કેબલ ચોરી કરનાર પકડાયા:મોડાસાના ચાંદટેકરીના બે શખ્સો ચોરી કરેલા કેબલના પાંચ બંડલ સાથે ઝડપાયા
મોડાસામાં જીનિયસ ગ્રાઉન્ડની બાજુમાંથી ચોરી કરેલા કેબલ વાયર લઈને ચાંદ ટેકરીથી નીલગીરીઓની અંદર થઈ રેલવે ફાટક તરફ જઈ રહેલી રિક્ષા રોકીને એસઓજીએ 20હજારના કેબલના પાંચ બંડલ સાથે ચાંદ ટેકરીના બે તસ્કરોને ઝડપી પાડ્યા હતા. મોડાસા શહેરી વિસ્તારમાં એસઓજીનો સ્ટાફ પીઆઇ વાઘેલાની સૂચનાથી પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ચાંદ ટેકરીથી નીલગીરીની અંદર થઈ રેલવે ફાટક તરફ જતાં રોડ ઉપર રિક્ષામાં બે શખ્સો પસાર થઈ રહ્યા હતા. એસઓજીએ રિક્ષા રોકીને તેની તલાશી લેતાં રિક્ષામાંથી કેબલ વાયરના જુદા જુદા ચાર ગૂંચડા અને ઇન્ટરનેટ લેન કેબલનું ગૂંચડું નંગ એક મળ્યું હતું. પોલીસે આગવી ઢબે રિક્ષામાં રહેલા કેબલ અંગે પૂછપરછ કરતાં બંને આરોપીઓએ તા.25 નવેમ્બરે રાત્રિના સમયે જીનિયસ ગ્રાઉન્ડની બાજુમાં બંધ પડેલ કોમ્પ્લેક્સ નજીક મંડપ બાંધેલો હતો તેની બાજુમાં કેબલ વાયરની ચોરી કર્યાનું જણાવતા ટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપી લાદીમ ફકીર મોહમ્મદ મુલતાની (22) અને ઈરફાન ઈબ્રાહીમ મુલ્તાની (32) બંને રહે. ચાંદ ટેકરી મોડાસા સામે ગુનો નોંધી પોલીસે 20હજારના કેબલ વાયર તેમજ મોબાઇલ અને રિક્ષા સહિત કુલ રૂ.180520નો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાગટ્ય મહોત્સવની ઊજવણી:મોડાસામાં શ્રીમદ ગોકુલનાથ પ્રભુચરણના 475 મા પ્રાગટ્ય મહોત્સવની ઊજવણી
મોડાસાના ગોકુલનાથજી મંદિરે શ્રીમદ ગોકુલનાથ પ્રભુચરણનો 475મો પ્રાગટ્ય મહોત્સવની વૈષ્ણવો દ્વારા ઊજવણી કરાઇ હતી. મંદિર ટ્રસ્ટના પ્રમુખ મનહરભાઈ શેઠના જણાવ્યા અનુસાર માગસર સુદ - 6 ની વહેલી સવારેથી ગોકુલેશપ્રભુને ( દાદાજી) ને ઢોલ - નગારા વગાડીને ઉત્સવની વધામણી કરાઇ હતી. મહાઔછવ ઉત્સવની ઉજવણી પૂર્વે બુધવારની રાત્રે મંદિરે ધન ધન છઠ્ઠ ની રાત સુહાવની ઉત્સવમાં વૈષ્ણવ ભાઈ બહેનોએ વિશાળ સમુદાયમાં ઉપસ્થિત રહી કિર્તન ગુણગાન તેમજ મનોરથી અનિલભાઈ શેઠ ના પરિવાર દ્વારા વૈષ્ણવોને કૂલેલ - તિલક કરી પ્રસાદી બાંટી ઉત્સવની ઊજવણી કરાઇ હતી. માગસર સુદ 7 ને ગુરુવાર ના રોજ ગોકુલેશ પ્રભુ ચરણના 475મા પ્રાગટ્ય મહોત્સવની વહેલી સવારે મંગળા આરતી, કેસર સ્નાન દર્શન તેમજ રાજભોગ દર્શનમાં માળાતિલક અને બહેનો દ્વારા કિર્તન ગુણગાન કરી ઉત્સવોને મંગલમય બનાવ્યો હતો. મંદિરના મુખિયાજી પવનભાઈ શર્મા, મંત્રી મહેન્દ્રભાઈ ગાંધી, રાજુ મામા, રાજુભાઈ શેઠ તેમજ ઉત્સવ કમિટીના સભ્યોએ જેહમત ઉઠાવી હતી. વૈષ્ણવ ભાઈ બહેનોને નીરજભાઈ શેઠે શુભેચ્છાઓ પાઠવી હતી.
SIR:સા.કાં.માં આગામી શનિ-રવિ ફરીથી મેગા કેમ્પ
સાબરકાંઠામાં સરની કામગીરી 80 ટકાની પાર થઈ ગઈ છે અને બાકી રહેલા એક સપ્તાહમાં મહત્તમ કામગીરી પૂર્ણ કરવાના લક્ષ સાથે જિલ્લા ચૂંટણી તંત્ર તમામ તાલુકા મથકોએ આગામી શનિ-રવિ દરમિયાન મેગા કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ તાલુકા મથકોએ મેગા ફોર્મ કલેક્શન કેમ્પનું આયોજન કરાયું છે જ્યાં એક જ સ્થળે આખા તાલુકાના તમામ બીએલઓ સવારે 9 થી સાંજે 5 સુધીમાં હાજર રહેશે. આ સ્થળો ઉપર યોજાશે કેમ્પ
શિક્ષકોમાં આનંદની લાગણી:સાબરકાંઠામાં 1340 પ્રાથમિક શિક્ષકોને OPSમાં સમાવાયા
સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 1340 પ્રાથમિક શિક્ષકોને ઓ.પી.એસ. (જૂની પેન્શન યોજના)માં સમાવેશ કરવાનો રાજ્યના પ્રાથમિક શિક્ષક નિયામકે હુકમ કરતાં શિક્ષકોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, તા. 01-04-2005 પહેલા માન્ય ભરતી બોર્ડ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ મારફતે ભરતી પ્રક્રિયા પૂર્ણ થયેલી હોય પરંતુ તા. 01-04-2005 પછી નિમણૂંક પામ્યા હોય ઉપરાંત તે પહેલા રાજ્યમાં વિવિધ વિભાગોની ફિક્સ પગારની નીતિ હેઠળ નિમણૂંક લઇ નોકરીમાં જોડાયા હોય તેવા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા જિલ્લા શિક્ષણ સમિતિ સાબરકાંઠા દ્વારા દરખાસ્ત કરાઇ હતી.
ભાસ્કર એક્સક્લુસિવ:સા.કાં.ની 33 બેંકોમાં દાવા વિનાના 310 કરોડ જમા
કેન્દ્રીય નાણામંત્રી દ્વારા વિવિધ નાણાંકીય સંસ્થાઓમાં એટલે કે બેન્કોમાં દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ સહિતની જમા પૂંજી માટે ખાતાધારકના વાલી વારસોને તક મળી રહે તે હેતુસર શરૂ થયેલ ઝૂંબેશમાં જાણવા મળી રહ્યા મુજબ સાબરકાંઠા જિલ્લાની 33 બેંકોમાં 31200 ખાતામાં દાવો ન કરાયો હોય તેવા 310 કરોડ રૂપિયા જમા પડ્યા છે. જેના માટે આજે હિંમતનગરમાં તમારી પૂંજી, તમારો અધિકાર ટેગલાઈન સાથે શિબિર યોજી માર્ગદર્શન આપવામાં આવશે. તમારી પૂંજી, તમારો અધિકાર ટેગલાઇન સાથે દાવો ન કરાયેલ થાપણો માટે રાષ્ટ્રવ્યાપી ઝૂંબેશ 4 ઓક્ટોબરે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા શરૂ કરાઇ હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માધ્યમથી દેશભરમાં 1 ઓક્ટોબર 2025 થી 31 ડિસેમ્બર 2025ના સમયગાળા દરમિયાન જાગૃતિ ઝૂંબેશ ચલાવાઇ રહી છે. લીડ બેન્ક મેનેજર સંજય ચૌધરીએ વિગત આપતાં જણાવ્યું કે જિલ્લાની વિવિધ બેંકોના માધ્યમથી દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા સાબરકાંઠામાં આજે 28 નવેમ્બર શુક્રવારના રોજ એક શિબિરનું નલિનકાંત ગાંધી ટાઉન હોલ, હિંમતનગરમાં સવારે 11-30 કલાકે આયોજન કરાયું છે. શિબિરમાં સાબરકાંઠા જિલ્લાની 33 બેંકોમાં 31200 ખાતાધારકોની 310 કરોડથી વધારે રકમ જમા છે. આ તમામ ખાતાઓ નિષ્ક્રિય છે. આ શિબિરોમાં લોકોને પોતાના જૂના ખાતાઓની યોગ્ય જાણકારી, મૃત વ્યક્તિના વારસદારોને દાવો કરવાની પ્રક્રિયાની જાણકારી અને રકમના યોગ્ય હકદારને મૂડી પાછી મળે તેવા પ્રયાસ કરાશે. શિબિરમાં નાણાંકીય સેવા વિભાગ ભારત સરકારના પ્રતિનિધિઓ, જિલ્લા પ્રતિનિધિ, ભારતીય રિઝર્વ બેંકના અધિકારીઓ, અન્ય વિત્તીય વિભાગના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
SIRની કામગીરી:અરવલ્લી જિલ્લામાં 24 દિવસમાં સરની 70 ટકા કામગીરી પૂર્ણ થઇ
અરવલ્લીમાં SIR મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ તા.4 નવેમ્બરથી શરૂ કરાયું છે. જિલ્લામાં મોડાસા ભિલોડા અને બાયડ વિધાનસભા મત વિસ્તારના 1048 બુથ વિસ્તારમાં બીએલઓ દ્વારા કાર્યવાહી શરૂ કરાતાં 24 દિવસમાં સરેરાશ 70% કામગીરી પૂર્ણ કરાઇ છે અને આગામી 4 થી 5 દિવસમાં જિલ્લામાં SIRની સો ટકા ગણતરી ફોર્મ એફઇ પરત મેળવી કામગીરી પૂર્ણ કરાશે. બીએલઓને પૂરતો સહકાર આપવા ચૂંટણી અધિકારી દ્વારા અપીલ કરાઇ છે. અત્યાર સુધીમાં ભિલોડા વિધાનસભા મત વિસ્તારમાં 63 ટકા, મોડાસા વિધાનસભા મત વિસ્તારમાં 65 ટકા તથા બાયડમાં 80 ટકા ગણતરી ફોર્મ(EF) મતદારો પાસેથી વિગતો ભરી પરત મેળવી લેવાયા છે.
રસ્તા પાણી-પાણી થયા:ખેડબ્રહ્મા તાલુકાના પશ્ચિમ પટ્ટામાં 10 મિનિટ કમોસમી વરસાદી ઝાપટું
ખેડબ્રહ્મા તાલુકાના પશ્ચિમ વિસ્તારના ગામોમાં ગુરૂવારે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. 10 મિનિટ પડેલ ઝાપટાંમાં રસ્તા પાણી પાણી થઈ ગયો હતા. ગુરુવારના રોજ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બપોરના સમયે ખેડબ્રહ્માથી અંબાજી હાઇવે તરફના ગામોમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. આગિયા ગામના પટેલ શૈલેશભાઈના જણાવ્યા અનુસાર 10 મિનિટ માટે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. જે લોકોને કપાસ થોડો ઘણો બચ્યો હતો તેને નુકસાન થશે. આ મામલે ખેતીવાડી અધિકારી ચિરાગભાઈ ગોહિલના જણાવ્યા અનુસાર મોટાભાગની ખેતી નીકળી ગઇછે અને હાલમાં ખેતરોમાં વાવણી ચાલુ કરવાની હોય કોઈ નુકસાન થશે નહીં
હિંમતનગરમાં પાંચબત્તી સર્કલ નજીક દુર્ગા રેલવે ફ્લાયઓવર બનાવવામાં નીચે હાર્ડ રોક આવ્યા બાદ ડિઝાઇનમાં ફેરફાર કરવો પડતાં રાજપૂત ભવનનું 4.30 મીટર બાંધકામ અને ફાટકની પૂર્વમાં દરગાહનું 3.0 મીટર બાંધકામ દૂર કરવું પડે તેમ હતું. ત્યારે ક્ષત્રિય હિતકારીણી સભા રાજપૂત ભવનનું આખું બાંધકામ દૂર કરી આપવા સંમત થતાં હવે રેલ્વે ફ્લાયઓવરના નિર્માણના મોટાભાગના અંતરાય દૂર થઈ ગયા છે. હિંમતનગરમાં LC- 82 રેલવે ઓવરબ્રિજની કામગીરી ચાલુ કરાયા બાદ ત્રણ વર્ષમાં અનેક અંતરાય આવ્યા છે. જમીનમાં હાર્ડ રોક આવવાને કારણે અવારનવાર કામગીરી લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ ડિઝાઇનમાં ફેરફાર કરી હિંમતનગર પાલિકાને રાજપૂત ભવનનું 4.30 મીટર અને ફાટકની પૂર્વમાં આવેલ દરગાહનું 3.0 મીટર બાંધકામ દૂર કરી આપવા જાણ કરી હતી જેને પગલે પાલિકા ચીફ ઓફિસરે તા.31-05-25 ના રોજ ટ્રસ્ટને નોટિસ આપી બાંધકામ ખૂલ્લું કરી આપવા જાણ કરી હતી. રાજપૂત ભવનમાં નીચે 5 ભાડુઆતો હતાં તેમણે હાઇકોર્ટ સુધી સ્ટે મેળવવા પ્રયાસ કર્યા હતા. પરંતુ સા.કાં. ક્ષત્રિય હિતકારીણી સભા જનહિત માટે બાંધકામ દૂર કરી આપવા સંમત હોવાની તમામ વાતોની દાદ નકારી કાઢવામાં આવી હતી. આ મામલે સા.કાં. ક્ષત્રિય હિતકારીણી સભાના ટ્રસ્ટી રણજીતસિંહ સોલંકીએ જણાવ્યું કે નોટિસ મળ્યા બાદ ટ્રસ્ટ દ્વારા જનહિત માટે સંમતિ અપાઈ હતી. પરંતુ બિલ્ડીંગ દાયકાઓ જૂનું હોવાથી 4.30 મીટર જેટલી જગ્યા ખૂલ્લી કરવા જતાં આખું બિલ્ડીંગ ધસી પડે તેમ હોઈ તા.10-06-25 ના રોજ વળતર માટે રજૂઆત કરી હતી. પાલિકા દ્વારા વેલ્યુએશન નક્કી કરવા આર એન્ડ બી દ્વારા વેલ્યુએશન કરાવી એસ્ટીમેટ જીયુડીસીમાં મોકલાયા બાદ યુડીસીએ બાંધકામ દૂર કરી 4.30 મીટર જેટલી જગ્યા જીયુડીસીને સોંપવા પત્ર લખ્યો હતો. તેમણે ઉમેર્યું કે વળતરની કાયદાકીય પ્રક્રિયા બાદ રાજપૂત ભવનનુ બાંધકામ દૂર કરવાનું ચાલુ કરાયુ છે.
પાટણ શહેરના ઊંઝા ત્રણ રસ્તા નજીક આવેલી હરિકૃપા સોસાયટીમાં 8 લાખ લિટર ક્ષમતાવાળી ઓવરહેડ પાણીની ટાંકી અવારનવાર છલકાતી હોવાના કારણે રહીશો ભારે પરેશાન છે. આ ટાંકી દર બે દિવસે ઊભરાય છે અને સોસાયટીમાં પાણી ફરી વળતા અવરજવર મુશ્કેલ બની રહી છે. રહીશોએ જણાવ્યું કે ટાંકો સોસાયટીના પાછળના ભાગમાં સ્થિત છે અને પાણી ઊભરાતા રસ્તાઓ પર કાચો-કાદવ ફેલાઈ જાય છે. દૈનિક કાર્યક્રમોમાં અવરોધ ઉભો થાય છે, ખાસ કરીને સ્કૂલ જતા બાળકો અને વરિષ્ઠ નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. રહીશો બોર ઓપરેટરની બેદરકારીને મુખ્ય કારણ ગણાવી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ ફરજ પરનો ઓપરેટર પાણીની મોટર ચાલુ કરીને સ્થળેથી જતા રહે છે. ટાંકો છલકાય અથવા રહીશો ફોન કરે તો જ અન્ય કર્મચારીને મોકલી મોટર બંધ કરાવવામાં આવે છે. આ પગલે રહીશો નારાજગી વ્યક્ત કરી પાલિકા કચેરીમાં ગુરુવારે રજૂઆત કરી હતી. કાયમી ઉકેલ માટે રહીશોએ તંત્ર સમક્ષ બે માંગ1. ટાંકીમાં પાણીની લેવલ નિયંત્રિત કરવા માટે તાત્કાલિક સેન્સર લગાવવા, જેથી પાણીનો બગાડ અટકે.2. છલકાતાં પાણીનો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા, જેમાં પાણી ગટરમાં મૂકી શકાય અથવા બાજુમાં આવેલા 10 લાખ લિટર ક્ષમતાવાળા સમ્પમાં કનેક્ટ કરી તેનો ઉપયોગ થઈ શકે. સેન્સર લગાવવાની કાર્યવાહી કરવા સૂચના નગરપાલિકાના ઉપપ્રમુખ હીનાબેન શાહે જણાવ્યું હતું કે જાવેદભાઈને તરત જ સેન્સર લગાવવાની કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે. વધુમાં, બોર ઓપરેટર ફરજમાં બેદરકારી કરે તો તેને બદલી મૂકવા તંત્ર કડક પગલાં લેશે.
ગોઝારો અકસ્માત:પાલનપુરના ખેમાણા પાસે કારની ટક્કરથી રિક્ષા ચાલકનું મોત
પાલનપુર તાલુકાના ખેમાણા ગામના કમલેશ ઉર્ફે કિર્તીભાઈ સેધાભાઈ ડગલા તા. 18 નવેમ્બરના રોજ બપોરે ચાર વાગ્યે રિક્ષા નં. જીજે-08-એટી-9661 લઈને ખેમાણાથી પાલનપુર તરફ નીકળ્યા હતા.આ દરમિયાન આદિત્ય ગ્રેનાઇટ નજીક હાઇવે પર કાર નં. જીજે-38-ડીઇ-2869ના ચાલકે રીક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતા કમલેશભાઈને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી . આથી તેમનું ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. સાથેના સુનીલભાઈ માંગરોળાને સામાન્ય ઇજા થઈ હતી. કારચાલક અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો.
માર્ગ અને મકાન રાજ્ય વિભાગ દ્વારા સિદ્ધપુરમાં 2 કરોડના ખર્ચે માર્ગોને પહોળા અને મજબૂત માટે સરકાર દ્વારા તા. 01/03/2025ના રોજ રૂ.2 કરોડની વહીવટી મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત ગાંગલાસણ–મેત્રાણા–વડુ માર્ગ પર સી.સી. રોડ તેમજ સ્ટોર્મ વોટર ડ્રેઈનનું નિર્માણ કરાઈ રહ્યું છે. વર્ક ઓર્ડર શરદ કન્સ્ટ્રક્શનને તા. 26/06/2025થી એનાયત થયા બાદ કામગીરી તેજ ગતીએ આગળ વધી છે. કુલ 500 મીટર સી.સી. રોડમાંથી 200 મીટર સુધીનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે 600 મીટર સ્ટોર્મ વોટર ડ્રેઈનમાંથી 300 મીટરનું કામ પૂર્ણ થયું છે. બાકીની કામગીરી પ્રગતિ હેઠળ ચાલી રહી છે અને વિભાગ દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટ 30/12/2025 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. નવા સ્ટોર્મ વોટર ડ્રેઈનના નિર્માણથી વરસાદી પાણીનો નિકાલ ઝડપી થઈ શકશે. ઉપરાંત, ગામના મુખ્ય માર્ગ પર બનેલા નવીન સીસી રોડથી સ્થાનિક નાગરિકો માટે અવરજવર વધુ સુરક્ષિત તથા આરામદાયક બને તેવી આશા છે.
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના ખેલાડીઓ દર વર્ષે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025માં ભાગ લેવા માટે જાય છે. દર વર્ષે 5થી 7 જેટલા ખેલાડીઓની પસંદગી થાય છે પરંતુ પ્રથમવાર આ વર્ષે જુડો, આર્ચરી, એથ્લેટિક જેવી વિવિધ સ્પર્ધાઓ માટે નેશનલ વિજેતા 13 જેટલા વિદ્યાર્થીઓની ઇન્ડિયામાં ભાગ લેવા માટે પસંદગી થતા રાજસ્થાનમાં ભાગ લેવા માટે ગયા છે. આગામી 5 ડિસેમ્બર સુધી આ ખેલો ઇન્ડિયા ટૂર્નામેન્ટ યોજાનાર છે જેમાં શરૂઆતના દેશ સ્પર્ધામાં જ યુનિવર્સિટીના બે ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને મેડલો મેળવ્યા છે. જેમાં વિદ્યાર્થિની ભગોરા ભાર્ગવીએ જયપુર ખાતે આયોજિત ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025માં આર્ચરી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે. ઉદયપુર ખાતે યોજાયેલ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં જુડો સ્પર્ધામાં 66 kg વેઇટ કેટેગરીમાં પ્રતિસ્પર્ધી ખેલાડીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. વિદ્યાર્થીની ભાર્ગવીનો પહેલો ઇન્ડિયામાં સિલ્વર, ગોલ્ડ બાદ હવે આ ત્રીજો બ્રોન્ઝ મેડલ છે. પ્રશાંત ચૌધરી યુનિવર્સિટીના પ્રતિનિધિત્વ સાથે પ્રથમ મેડલ મેળવ્યું છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ,રજીસ્ટ્રાર તેમજ શારીરિક શિક્ષણ નિયામક દ્વારા બંને ખેલાડીઓને ટેલિફોનિક શુભેચ્છાઓ સાથે પ્રોત્સાહિત કરી હતી. શારીરિક શિક્ષણ નિયામક ડો.ચિરાગ પટેલે જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા ખેલાડીઓ માટે ઊભું કરેલું હકારાત્મક વાતાવરણ સાથે નવી પોલીસી અને તેમને આપવામાં આવી રહેલી સુવિધાઓ અને તાલીમને લઈ છેલ્લા ચાર વર્ષથી યુનિવર્સિટીના ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી મેડલ મેળવી રહ્યા છે.
ખેડૂતો થયા પરેશાન:વાતાવરણ પલટાતા સરસ્વતી–વાગડોદ પંથકમાં રવિ સિઝનના પાકને રોગનો ભય
સરસ્વતી–વાગડોદ પંથકમાં ગુરુવારે અચાનક બદલાયેલા વાતાવરણને કારણે રવિ સિઝનના મુખ્ય પાકો પર રોગચાળો ફાટી નીકળવાની શક્યતા સામે ખેડૂતોમાં ચિંતા વધવા લાગી છે. સરસ્વતી તાલુકામાં રવિ સિઝનમાં દિવેલા, ઘઉં, રાયડો, એરંડા, જીરૂં અને શાકભાજીનું વ્યાપક વાવેતર થયું છે. હાલમાં સુજલામ–સુફલામ તથા દાંતીવાડા કેનાલ અને ટ્યુબવેલ દ્વારા સિંચાઈ ચાલી રહી છે અને કોઈ મોટા નુકસાનની ભીતિ નથી.નાયતાના બલાજી ઠાકોરે દિવેલામાં ફુલ ભમરી તથા રાયડામાં મોલામચ્છી વધવાની આશંકા વ્યક્ત કરી ખેડૂતોની હાલત વધુ ચિંતાજનક બની છે. તો પણ લાંબા સમય સુધી વાદળછાયું વાતાવરણ રહે તો પાકમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા વધી શકે છે, એવું ખેતીવાડીના વિસ્તરણ અધિકારી સુરેશ ચૌહાણે જણાવ્યું. મોરપાના ઈશ્વરજી ઠાકોરે જણાવ્યું કે ઠંડી પાક માટે લાભદાયી છે, પરંતુ વાતાવરણના પલટાથી રાયડો અને ઘઉંને અસર થવાની ચિંતા છે.
પોલીસને આવેદન:ગડસઈમાં દારુનું વેચાણ બંધ કરાવવા પોલીસને આવેદન
સાંતલપુર તાલુકાના ગડસઈ ગામમાં દારૂનું વેચાણ બંધ કરવાનો ગ્રામજનો દ્વારા નિર્ણય કરી ગામમાં દારૂનું વેચાણ ના થાય માટે કાર્યવાહી કરવા પોલીસને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ગરસઈ ગ્રામજનોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે ગામમાં યુવા ધન નશાના રવાડે ના ચડી દારૂ પીને અપ શબ્દોનો ઉપયોગ કરે છે દારૂના ખોટા સેવનને કારણે નાની ઉંમરમાં મોત થતા મહિલા વિધવા બને છે. જેથી ગ્રામજનો દ્વારા ગામમાં દારૂનું વેચાણ બંધ કરી દારૂબંધીને ચુસ્તપણે પાલન થાય માટે નિર્ણય કરીને ગામમાં કોઈ દારૂનું સેવન કરશે અથવા તો દારૂની વેચાણ કરશે તેના ઉપર કાયદેસર કાર્યવાહી કરાશે. પોલીસ દ્વારા પણ ગ્રામજનોના નિર્ણયને માન્ય રાખી ગામમાં કોઈ આવી દારૂની પ્રવૃત્તિ ના કરે માટે કાર્યવાહી કરવા માંગ કરી હતી.
પાટણ શહેરમાં વ્યાવસાયિક વેરા ગ્રાન્ટ, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી વિકાસ યોજના અને 15મા નાણાં પંચ જેવી યોજનાઓમાંથી મળેલી ગ્રાન્ટમાંથી કુલ 3 તબક્કામાં શહેરના 49 જેટલા વિસ્તારોમાં નવા ડામર રોડ, પેવર રોડ અને રિસરફેસીંગની કામગીરી રૂ.7.99 કરોડના ખર્ચે પાલિકા દ્વારા કરાશે.શહેરમાં કુલ 49 વિસ્તાર રોડ વિકાસ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. શહેરની આંતરિક ગલીઓ, મુખ્ય માર્ગો અને હેરિટેજ ઝોનમાં નવીન રોડ રસ્તા બનતા લોકોની રોડની સમસ્યાઓ હલ થશે. શહેરના 14 વિસ્તારોમાં મેટલિંગ તથા પેવર–ડામર રોડનાં કામો માટે કુલ રૂ.2.43 કરોડની મંજૂરી આપવામાં આવી છે. જેમાં મહાવીરનગર– આદર્શ હાઇસ્કૂલ રોડ, ગાયત્રી મંદિર–કેનાલ રોડ, ભગવાનનગર– જયવીરચોક– શાંતાબા હોલ રોડ, પીંપળાગેટ– ઉંચી શેરી– અઘારા દરવાજા, રંજીત હનુમાન– ભરવાડવાસ– સાલવીવાડા સહિતના વિસ્તારોમાં ડામર– પેવર રીસરફેસીંગ કાર્ય શરૂ થવાં જઈ રહ્યું છે. બીજો તબક્કામાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2024–25 હેઠળ કુલ ખર્ચ 3,60 કરોડના ખર્ચે 20 વિસ્તારો રોડ બનશે.જેમાં સુભાષ ચોક– જુના ગંજ, ઝવેરી બજાર– રંગરેજની ખડકી– ગંજીપીર, હર્ષનગર– રાજકાવાડા, રેલવે સ્ટેશન– બગેશ્વર મહાદેવ– બગવાડા દરવાજા, મોટીસરા– ખોખરવાડા, દોશીવટ– બાબુના બંગલા– લોટેશ્વર મહાદેવ સહિતના મુખ્ય માર્ગો પર વોલ-ટુ-વોલ ડામર રોડ અને મેટલિંગ કાર્ય હાથ ધરાયું છે. ત્રીજો તબક્કામાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2023–24 તથા 15મા નાણાં પંચ – કુલ 1,95 કરોડના ખર્ચે આ તબક્કામાં 15 વિસ્તારોમાં રોડ કામો માટે મંજૂરી આપવામાં આવી છે. ચંપાબેન વિસ્તાર, ચંદનજી રોડ, ખોડીયાર માતા–કેનાલ પેરાલેલ રોડ, નીલમ સિનેમા– મોટી ભાટીયાવાડ, સુર્યનગર, યશનગર લિંક રોડ, ગૃહલક્ષ્મી સોસાયટી–બ્રિજ કનેક્ટિવિટી, ઝવેરી બજાર– લાખુખાડ, ઠાકોરવાસ– ધોળીબતી -કુલ ડીવાસ સહિતના વિસ્તારોમાં નવા ડામર માર્ગો તૈયાર થશે.
ભાસ્કર એક્સક્લુસિવ:સરની પ્રથમ ડ્રાફ્ટની યાદીમાં પાટણ જિલ્લામાં 56358 મતદારો નામ રદ થશે
પાટણ જિલ્લામાં SIRની કામગીરી દરમિયાન મતદાર યાદીમાંથી મૃત્યુ પામેલા, ડમી, સ્થળાંતરિત અને ગુમનામ હોય તેવાં અત્યાર સુધીમાં કુલ 56358 મતદારો મળ્યા છે.આ તમામ મતદારોના નામ મતદાર યાદીમાંથી રદ થશે. એટલે કે આ મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાં આવશે નહીં. પાટણ જિલ્લામાં નવેમ્બરથી શરૂ થયેલી SIRની કામગીરી 1222 બીએલઓ મારફતે પૂરજોશમાં ચાલી રહી છે.22 દિવસમાં આ કામગીરી 77.93 ટકા પૂર્ણ થઈ ગઈ છે. આ કામગીરીનું એનાલિસિસ કરતાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જિલ્લાની 4 વિધાનસભામાંથી 19160 મતદારોનું મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું છે.તો 31061 મતદારોએ તો કાયમી સ્થળાંતર કરી દીધું છે. એટલું નહીં 3232 મતદારો તો મળતા જ નથી તેમ છતાં તેમના નામ યાદીમાં હતા.3905 મતદારોના નામ ડુપ્લીકેટ હોવાનો ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. 52,588 મતદારોના નામ હાલની મતદાર યાદીમાં છે પરંતુ 2002ની મતદાર યાદીમાં તેમના કે તેમના સંબંધીના નામ નથી. એટલે કે તેમનું મેપિંગ થયું નથી. મેપિંગ થતું નથી તેવા મતદારોને પુરાવા આપવા પડશે4 વિધાનસભામાં કુલ 52,588 મતદારોનું મેપિંગ થતું નથી.જેમાં સૌથી વધુ પાટણમાં 15370, રાધનપુરમાં 15037, ચાણસ્મામાં 12,117 અને સિદ્ધપુરમાં 10,064 મતદારોનું મેપિંગ થતું નથી એટલે કે આ મતદારોના નામ હાલની મતદાર યાદીમાં છે પરંતુ 2002ની યાદીમાં તેમનાં કે તેમના સંબંધીઓના નામ મળતા નથી એટલે હવે તેમને પુરાવા આપવા પડશે. પાટણ જિલ્લામાં 29 અને 30 નવેમ્બરે ખાસ સઘન મતદાર યાદી સુધારણા કેમ્પ થશે મતદારોને સેવા વધુ સરળ બને તે માટે 29 અને 30 નવેમ્બર 2025 ના બે દિવસ માટે પાટણ જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પોમાં મતદારો પોતાના ગણતરી ફોર્મ જમા કરાવી શકશે અને જરૂરી દસ્તાવેજોની વિગતો અંગે માર્ગદર્શન મેળવી શકશે. જેમના ગણતરી ફોર્મ હજુ બાકી છે, તે મતદારો આ વિશેષ કેમ્પનો ઉપયોગ કરી ફરજિયાત રીતે ગણતરી ફોર્મ જમા કરાવે. આ કેમ્પ બે દિવસ સવારે 11:00 થી સાંજે 5:00 સુધી ચાલશે. મતદારોના કામની વાતસ્થળાંતર મતદારો નામ દાખલ કરવા પુરાવા સાથે અરજી કરવીનાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પાર્થ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે મૃતક મતદારો, કાયમી સ્થળાંતરિત થયેલા મતદારો, ડુપ્લીકેટ મતદારો, તેમજ જેમનો સંપર્ક થતો નથી તેવા મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાં આવશે નહીં પરંતુ જે લોકોનો સંપર્ક થતો નથી કે સ્થળાંતરિત છે. તેવા મતદારો પુરાવા સાથે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ થયા બાદ ફોર્મ-6 ભરીને નામ દાખલ કરવા માટે મતદાર નોંધણી અધિકારીને અરજી કરી શકશે તેના પર મતદાર નોંધણી અધિકારી યોગ્ય નિર્ણય લેશે. પાટણ જિલ્લામાં 4 વિધાનસભા વાઈઝ આંકડો
પાલનપુર-અમદાવાદ હાઇવે પરના શેરપુરા પાટિયા નજીક છાપી પોલીસે ગુરુવારે રાત્રે પેટ્રોલિંગ દરમ્યાન ક્રૂરતાપૂર્વક 15 ભેંસો ભરેલી ટ્રક ઝડપી લીધી હતી.પોલીસે ટ્રક ચાલક સહીત બે શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. છાપી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગુરુવારે નાઇટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પાલનપુર -અમદાવાદ હાઇવે પરના શેરપુરા પાટિયા નજીક ટ્રક નં. જીજે-02-બીટી-2129 શંકાસ્પદ રીતે પૂરઝડપે પસાર થઇ રહ્યો હોઇ પોલીસની ટીમે ટ્રકને રોકાવી તેની તલાશી લેતાં તેમાં ગેરકાયદે રીતે ક્રૂરતાપૂર્વક ભરેલ 15 ભેંસો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી હતી. જેમાં મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના લાલાવાડા ગામના ટ્રકના ડ્રાઇવર હસનખાન મહમદખાન શેખ અને કંડક્ટર સાહીલખાન શાહેદખાન બલોચે પાસ–પરમીટ વગર ભેંસો ભર્યાની કબૂલાત કરી હતી.ટ્રકમાં ભેસોને ખીચોખીચ, એકબીજાની ચામડી ઘસાય તેવી સ્થિતિમાં તથા પાણી, ઘાસચારો કે હવા–ઉજાસની કોઈ સગવડ વગર ભરવામાં આવી હતી. પૂછપરછમાં ડ્રાઇવરે જણાવ્યું કે ભેસો ખળી ચાર રસ્તા નજીકથી ઉસીભાઈ બલોચ (રહે. કાકોશી) દ્વારા ભરાવવામાં આવી હતી અને તેમને સોજત (રાજસ્થાન) લઇ જવાની હતી. પોલીસે અંદાજીત કિંમત 3 લાખની ભેંસો અને રૂ. 8 લાખની ટ્રક કબ્જે લઇ આરોપીઓ સામે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
અકસ્માત સર્જાયો:સમી પાસે બાઈકને ગાડીએ ટક્કર મારતા ખાંભેલનાં બાઈક ચાલકને ઈજા
સમીના વઢિયાર પેટ્રોલ પંપ પાસે બાઈકને અર્ટીગા ગાડીએ ગાડીએ ટક્કર મારતા બાઈક ચાલક ને ઇજાઓ થઇ હતી બહુચ રાજી તાલુકાના ખાંભેલ ગામના સાગર ભાઈ બાબ ભાઈ ચૌહાણ તેમના ગામ ખાતેથી બાઈક પર રાધનપુર BOB બેંકમાં મિટિંગમાં જતા હતા તે વખતે સમીના વઢીયાર પેટ્રોલ પંપ પાસે પહોંચતા રાધનપુર બાજુથી આવતી અટૅીગા ગાડીએ બાઈકને અચાનક ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. તેમને ઇજાઓ થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા આ અંગે સાગ ભાઇ ચૌહાણ એ સમી પોલીસ મથકે અટીૅકા ગાડી ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી
અમીરગઢ તાલુકાનાં ઘાંટા (ગોળીયા) ગામમાં ધોળાદિવસે ચોરીની ગંભીર ઘટના સામે આવી છે. ઘરના સભ્યો પડોશમાં લગ્ન પ્રસંગે ગયા હોવાથી તેનો લાભ લઈ તસ્કરોએ તીજોરી તોડી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી રૂ.1.67 લાખની મત્તાની ચોરી કરી હતી. અમીરગઢ તાલુકાનાં ઘાંટા (ગોળીયા) ગામના નેતાભાઈ હેદાભાઈ ધર્માજી રબારી બુધવારે સવારે તેમના પરિવાર સાથે પાડોશી જોધાભાઈ રબારીના પુત્ર રામાભાઈના લગ્ન પ્રસંગે ઘરેને તાળું મારીને નીકળ્યા હતા. બપોરે 1:30 વાગ્યે પરત ફરતાં ઘરના દરવાજાનું તાળું તૂટેલું હતું અને અંદર તિજોરીનો લોક તોડી ખુલ્લો મળ્યો હતો. ઘરમાં રાખેલા સોના-ચાંદીના દાગીના તથા પશુપાલનના ધંધાના રૂ.60,000 રોકડ મળી ન આવતા પરિવાર દંગ રહી ગયો હતો. આથી તેમણે અમીરગઢ પોલીસમાં રૂ.1.67 લાખના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ગંભીર અકસ્માત સર્જાયો:સિદ્ધપુરના ફુલપુરા નજીક ટ્રક પાછળ ગાડી ઘૂસી જતા ચારને ઇજા પહોંચી
સિદ્ધપુર હાઈવે પર ફુલપુરા પાટિયા નજીક મહેસાણા તરફથી સ્પીડમાં આવી રહેલી સ્કોર્પિયો કાર રસ્તા કિનારે એક ચાના સ્ટોલ નજીક સાઈડમાં ઉભેલી ટ્રકના પાછળના ભાગે ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અથડામણથી સ્કોર્પિયોના આગળના ભાગનો ભુક્કો થઈ ગયો હતો. સદ્નસીબે ગાડીની એરબેગ ખુલી જતા ગાડીમાં સવાર 4 લોકોને ઈજા પહોંચી હતી. સિદ્ધપુર હાઈવે પર ફુલપુરા પાટિયા નજીક ચાની સ્ટોલ નજીક બુધવારે રાત્રે ઊભી હતી. સ્કોર્પિયો કારના ચાલક અગમ્ય કારણોસર સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા કારને કાબુમાં કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટ્રકના પાછળ ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારની એરબેગ સમયસર ખૂલી જતા ચારેય મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. પરતું ગાડીમાં સવાર મહિલા સહિત 4 લોકોને નાની-મોટી ઇજાઓ થઈ હતી. આ અકસ્માત બાદ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થાનિક હાજર લોકો દ્વારા મુસાફરોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસને અકસ્માત અંગે માહિતી મળતા જ ઘટના સ્થળે દોડી આવી હતી
ઉત્કૃષ્ટ પ્રદર્શન:જિલ્લાકક્ષાના ખેલમહાકુંભમાં વઢવાણની જ્ઞાનશક્તિ સ્કૂલ કબડ્ડીમાં જિલ્લામાં ચેમ્પિયન
સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એકસીલેન્સ, વઢવાણના વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં આયોજિત ખેલ મહાકુંભ 2025ની જિલ્લા કક્ષાની અંડર-14 કબડ્ડી સ્પર્ધામાં શાળાની ટીમના ખેલાડીઓએ સ્પર્ધા દરમિયાન અદમ્ય સાહસ, સ્ફૂર્તિ અને શાનદાર ટીમ વર્કનું પ્રદર્શન કર્યું હતું. ફિઝિકલ ઈન્સ્ટ્રક્ટર અને કોચ ગઢવી મોહિતભાઈ દ્વારા આપવામાં આવેલી નિયમિત અને સઘન તાલીમનો ખેલાડીઓને વિશેષ લાભ મળ્યો હતો. વિદ્યાર્થીઓએ અંતિમ રાઉન્ડ સુધી પ્રતિસ્પર્ધી ટીમોને જોરદાર ટક્કર આપી પ્રથમ સ્થાન મેળવીને સમગ્ર જિલ્લામાં શાળાનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીઓના આ શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે હવે તેમની પસંદગી રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધા માટે થઈ છે, જ્યાં તેઓ સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આથી શાળાના સંચાલક આનંદપ્રિયસ્વામીજી તથા પ્રિન્સિપાલ સાવલિયા પિયુષભાઈએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, અમારા માટે આ ગર્વની લાગણી છે. પસંદ થયેલા વિદ્યાર્થી ખેલાડીઓ : પરમાર મૌલેશ ગોરધનભાઈ, કોળીપટેલ પૃથ્વીભાઈ બાબુભાઈ, કોળી જયપાલ વિપુલભાઈ, ડાંગર ગૌતમ ઈશ્વરભાઈ, ધરજીયા કૌશલભાઈ ભરતભાઈ, સુતરસાંઢિયા દીપ અજીતભાઈ, મકવાણા કિશનજી પ્રધાનજી, વેલાણી પાર્થ ભરતભાઈ, તડવી વિશાલભાઈ કિશનભાઈ, કઠેકિયા મહાવીર મનોજભાઈ.
ઠંડીમાં આંશિક રાહત થઈ:તાપમાન 2.3 ડિગ્રી વધ્યું, બપોર સુધી ધૂંધળું વાતાવરણ
ગુરુવારે જૂનાગઢ સહિત સોરઠમાં ઠંડીમાં આંશિક રાહત રહી હતી અને ધુમ્મસનું આક્રમણ થતાં બપોર સુધી ધૂંધળું વાતાવરણ છવાઈ ગયું હતું. છેલ્લા ચાર દિવસથી તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે અને તાપમાન સતત ઉંચાઈ રહ્યું હોવાના કારણે ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. ગુરુવારે સવારે જૂનાગઢ ખાતે લઘુતમ તાપમાનનો પારો 24 કલાકમાં 2.3 ડીગ્રી ઉપર ચડીને 16.3 ડીગ્રીએ સ્થિર થતા ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણે વધીને 85 ટકાએ પહોંચી ગયું હતું. સવારથી વાતાવરણમાં શરૂ થયેલું ધુમ્મસ બપોર સુધી યથાવત રહેતા કમોસમી વરસાદની શક્યતા વધી ગઈ હતી પરંતુ સદનસીબે આવું કંઈ થવાને બદલે માત્ર ધૂંધળું વાતાવરણ રહ્યું હતું. છતાં ખેડૂતોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. સવાર તાપમાન વધવાની સાથે બપોરે પણ મહત્તમ તાપમાન વધીને 32 ડિગ્રીએ પહોંચી ગયું હતું. બપોરની હવામાં ભેજ પણ વધીને 35 ટકા થઈ ગયો હતો. સવારથી પવનની ઝડપ પ્રતિ કલાકની 2.1 કિલોમીટરની રહી હતી. દરમિયાન હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર હાલ માવઠાની શક્યતા નહિવત છે અને ઠંડી ડિસેમ્બર મહિનાની શરૂઆતથી તીવ્ર બનશે.
પાલનપુર ગઠામણ પાટિયા પાસે રામદેવ હોટલની સામે આવેલી અને નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ સોસાયટીઓ તરફના માર્ગમાં સ્ટ્રીટ લાઇટના અભાવે અંધારુ છવાયેલુ રહે છે. જેના કારણે સ્થાનિક રહીશોને રાત્રે બહાર નિકળવું મુશ્કેલ બની ગયું છે. સીસી રોડ પર ખાડાઓ પડી ગયા છે તો ગટરલાઇન માટે રોડ ખોદાવ્યા બાદ રોડ ફરી ન બનતાં સોસાયટીઓએ પોતાના ખર્ચે રોડનું રીપેરીંગ કરાવ્યું છે. પાલનપુરના ગઠામણ પાટિયા પાસે રામદેવ હોટલની સામે દેવ વિલા, સદગુરુ સોસાયટી, શાલિગ્રામ બંગલોઝ, નંદ વિહાર, ગોકુલધામ સહિત કુલ સાત સોસાયટીઓ તરફના માર્ગ ઉપર નગરપાલિકા વેરા ભરવા છતાં સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધા ન મળતાં રહીશોમાં ભારે નારાજગી ફેલાઈ છે. રાત્રિના સમયે મુખ્ય રોડ પર અંધારું છવાય જતા ખાસ કરીને મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને બહાર નિકળવામાં ડર લાગે છે. રોડ પર આવેલી સોસાયટીઓ દ્વારા તેમની સોસાયટીના માર્ગ પુરતી પોતાના તરફથી સ્ટ્રીટ લાઇટ મૂકવામાં આવી છે, પરંતુ અમુક સ્થળે અંધારું એટલું ઘેરું છે કે અવરજવર મુશ્કેલ બને છે. રહીશોના જણાવ્યા મુજબ, અનેક રજૂઆતો પાલિકામાં કર્યા બાદ પણ કોઈ સકારાત્મક કાર્યવાહી જોવા મળી નથી.ગટર લાઇન નાખ્યા બાદ રોડ ખોદાઈ ગયો હતો, પરંતુ કામ અધૂરું રહી જતાં સોસાયટીઓએ પોતાના ખર્ચે રોડનું રીપેરીંગ કરાવવું પડ્યું છે. હાલ સોસાયટીઓ માટે બનાવેલ આરસીસી રોડ પર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. ઉપરાંત, કેટલાંક સ્થળે ગટર લાઇન પર નાખેલી લોખંડી જાળી તૂટી જતાં વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ભય રહે છે. રહીશ નરેશભાઇ નાયકએ જણાવ્યું હતું કે, ગટર લાઇન નાખ્યા બાદ મુખ્ય રોડ તોડી નાંખવામાં આવ્યો હતો.પરંતુ તેના બે મહિના બાદ પણ ત્યાં ફરી રોડ ન બનાવતાં સોસાયટીઓએ પોતાના ખર્ચે રોડ રીપેર કરાવ્યો છે. તો પ્રફૃલભાઇ રાવલે જણાવ્યું હતું કે, વેરો તો સમયસર વસુલાય છે, પરંતુ સુવિધાઓ માટે વારંવાર માંગણી કરવી પડે છે. વિસ્તારના લોકો તાત્કાલિક સ્ટ્રીટ લાઇટ, રોડ સમારકામ અને તૂટી ગયેલી ગટર જાળીઓની મરામત કરવા માંગ કરી રહ્યા છે. નગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી ન થાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ફરજ પડશે. ગઠામણ પાટીયા પાસેની સોસાયટીના માર્ગ ઉપર ગટરલાઇનની કામ બાદ રોડ ન બનતાં રહીશોએ પોતાના ખર્ચે રીપેરીંગ કરાવ્યો હતો.
પાલનપુરના તિરુપતિ સોસાયટીમાં બનનાર પમ્પિંગની દીવાલથી વરસાદી કેનાલ અવરોધાવાની ભીતિ છે જેના પગલે તિરુપતિ ટાઉનશીપ સહિત વિસ્તાર ડુબમાં જવાની શક્યતા છે. સ્ટેશનને માત્ર 20 ફૂટ દૂર બનાવવાની માંગ સાથે કલેકટર અને નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવામાં આવી છે. પાલનપુર નિવાસી અધિક કલેક્ટરે ટેલિફોન પરથી ચીફ ઓફિસરને તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. પાલનપુર શહેરના તિરુપતિ ટાઉનશીપ ભાગ-1 સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણીના પ્રવાહને લઈને ગંભીર સમસ્યા ઊભી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલની મુખ્ય કેનાલને અડીને ભુગર્ભ ગટર લાઇન માટે પમ્પીંગ સ્ટેશન બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે, પરંતુ આ સ્ટેશનની દીવાલ કેનાલથી ખૂબ નજીક હોવાથી પાણીના કુદરતી પ્રવાહમાં અવરોધ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. ભૂતકાળમાં ભારે વરસાદ વખતે આ સમગ્ર વિસ્તાર પુરગ્રસ્ત થયો હતો અને હાલ આસપાસ મોટા પ્રમાણમાં નવા બાંધકામ થતા જોખમ વધુ વધ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક રહેવાસીઓ અને સોસાયટી દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નિવાસી અધિક કલેક્ટરે તાત્કાલિક કાર્યવાહી માટે નગરપાલિકાના મુખ્ય અધિકારીને ટેલિફોનીક સૂચના આપીને સમસ્યાની નોંધ લીધી હતી. ત્યારબાદ પાલનપુર નગરપાલિકા ખાતે પણ આવેદન રજૂ કરી વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. સોસાયટીના રહીશોએ જણાવ્યું કે પમ્પિંગ સ્ટેશન ખસેડવાની માંગ નથી, પરંતુ તેની દીવાલને આશરે 20 ફૂટ દૂર ખસેડવાની માગ છે, જેથી કેનાલ મારફતે વરસાદી પાણીનો અવરોધ વિના નિકાલ થઈ શકે. લડબી નદીના વળાંક નજીક પમ્પિંગ સ્ટેશન બનતું હોવાથી કરંટ વોટર ડિસ્ચાર્જ પર પણ અસર પડશે. આ મુદ્દે રાહત કમિશનર, પાણી પુરવઠા અને ગટર બોર્ડ, નગરપાલિકા કમિશનર, બનાસકાંઠા કલેકટર, પાલનપુર નાયબ કલેકટર સહિતના જવાબદાર વિભાગોને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ચીફ ઓફિસરે ટેકનિકલ સ્ટાફ સાથે સ્થળ મુલાકાત લઈ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
ભાસ્કર વિશેષ:પાલનપુરના જગાણામાં લગ્ન મંડપના પ્રવેશ દ્વારે દીકરીઓને પ્રોત્સાહિત કરતા સ્લોગન લગાવાયા
પાલનપુર તાલુકાના જગાણા ગામે ઉગમણી શેરીમાં રહેતા ઠાકોર પરિવારે તેમની દીકરીના લગ્ન પ્રસંગે મંડપના પ્રવેશ દ્વારે દીકરી જન્મને તેમજ તેઓ જીવનમાં આગળ વધે તે માટે સમાજને પ્રોત્સાહિત કરતા સ્લોગન લખી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. લગ્ન પ્રસંગ હોય ત્યારે સામાન્ય પણે મંડપના પ્રવેશદ્વારે પરિવારો તેમના કુટુંબીજનોના ફોટા લગાવતાં હોય છે. પરંતુ પાલનપુર તાલુકાના જગાણા ગામે ઉગમણી શેરીમાં રહેતા સુરેશજી ઘેમરજી ઠાકોર અને તેમના પત્ની લીલાબેન સુરેશજી ઠાકોરે દીકરી જન્મ વધે અને સમાજમાં દીકરીઓનું સન્માન જળવાય તેવો જીવનમાં આગળ વધે તે માટે પ્રોત્સાહિત કરતા જુદા જુદા સ્લોગોનો લગાવ્યા હતા. આ અંગે સુરેશજીએ જણાવ્યું હતું કે, આજના યુગમાં દીકરીઓ દરેક ક્ષેત્રે આગળ વધી શકે છે, તેમની ક્ષમતાઓને ઓળખી પ્રોત્સાહન આપવું જરૂરી છે. આ સંદેશો ઠાકોર સમાજમાં પ્રસરે તે માટે મારી દીકરી મિત્તલના લગ્ન પ્રસંગમાં મંડપના પ્રવેશદ્વારે જુદાજુદા સ્લોગન લગાવ્યા હતા. આ સંદેશો સમાજમાં દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ તરફ સકારાત્મક અસર કરશે. દીકરીઓને માત્ર ઘરકામ ના શીખવો પરંતુ એવું શિક્ષણ આપો કે તે દુનિયા જીતી શકે આ સ્લોગન આકર્ષણનું કેન્દ્રમહિલા વર્લ્ડ કપ વિજેતા ટીમની ખેલાડીઓના ફોટા, આઈ પી એસ મહિલા અધિકારી, મહિલા વૈજ્ઞાનિકો સહિતના ફોટા સાથે દીકરીને માત્ર ઘરકામ ના શીખવો પણ એવું શિક્ષણ આપો કે આખી દુનિયા જીતી શકે. દીકરીનું શિક્ષણ ઘર સમાજનું ઉત્થાન સહિતના સ્લોગન આમંત્રિત મહેમાનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
વડગામ તાલુકાની છાપી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ નીતાબેન મુકેશભાઈ ચૌધરીને જિલ્લા વિકાસ અધિકારીએ ગુજરાત પંચાયત ધારાની કલમ-57(1) હેઠળ હોદ્દાથી દૂર કરવાનો આદેશ કર્યો છે. સરપંચના પતિ અને પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલે હાઇકોર્ટમાં અરજી પરત ખેંચવા બદલ રૂા. 35 લાખની માંગ કરી હતી જે બાદ એસીબીની લાંચના છટકામાં રૂા. 15 લાખ સ્વીકારતા પકડાયા હતા. જેમાં સરપંચની સંડોવણી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. જે બાદ તપાસમાં મોટર રીપેરીંગ, ડિઝલ વપરાશ, સફાઇ ખર્ચ બાબતે નિયમોથી વિરુદ્ધ ચુકવણાં તાલુકા પંચાયતની પૂર્વ મંજૂરી લીધા વગર ખર્ચ કરવામાં આવ્યો હોવાનું ડીડીઓ દ્વારા કરાયેલી તપાસમાં ખુલ્યું હતું. ઉપરાંત બાંધકામની ગેરકાયદે પરવાનગી સહિતની બાબતોના આધારે સરપંચ સામે સત્તાના દુરુપયોગ અને ફરજમાં બેદરકારી સાબિત થતાં તેમની બરતરફીનો આદેશ પણ કરવામાં આવ્યો છે. સરપંચ પતિ સભ્ય પદે ગેરલાયક ઠર્યા હતા સરપંચ પતિ મુકેશ ચૌધરી વોર્ડ નંબર છના સભ્ય હતા, લાંચ કાંડ બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ફરી ચૂંટણી થઈ હતી અને લક્ષ્મણ ચૌધરી સભ્ય પદે ચૂંટાયા હતા. પૂર્વ સરપંચ સામે 13. 42 લાખની રિકવરીનો આદેશછાપી ગ્રામ પંચાયતમાં સરકારી નાણાંના દુરુપયોગ અંગે જિલ્લાના વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. વર્ષ 2018-19 દરમિયાન ગેરરીતિઓ સામે આવી હતી. તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરાયેલી તપાસમાં નિયમોનું ઉલ્લંઘન સામે આવ્યા હતાં. સરકારી નાણાંનો દુરુપયોગ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ છાપી ગ્રામ પંચાયતના તત્કાલિન સરપંચ ભરતભાઈ પટેલને જવાબદાર ઠેરવી તેમની સામે 13.42 લાખની વસુલાત કરવા હુકમ કરવામાં આવ્યો હતો. પ્લોટ ધારકો વિકાસ કમિશ્નરમાં કેસ જીતતા પંચાયત દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરવા ઠરાવ થયો હતો છાપી ગામના ગામતળ વિસ્તારમાં સર્વે નં. 233/1ની જમીનમાં 27 પ્લોટ ગ્રામ પંચાયત દ્વારા હરાજી કરીને ફાળવવામાં આવ્યા હતા. ડીડીઓ બનાસકાંઠાએ આ ફાળવણી બાદમાં રદ કરી દીધી. પ્લોટધારકોએ ગાંધીનગર સ્થિત વિકાસ કમિશનર સમક્ષ રિવિઝન અરજી કરી, જ્યાં તેમના પક્ષે ચુકાદો આવ્યો હતો. જોકે વિકાસ કમિશનરના આદેશ સામે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવા અંગે છાપી પંચાયતમાં ઠરાવ થયો હતો.
ગોઝારો અકસ્માત સર્જાયો:ખેમાણા પાસે કારની ટક્કરથી રિક્ષા ચાલકનું મોત નીપજ્યું
પાલનપુરના ખેમાણા પાસે કારની ટક્કરથી રિક્ષા ચાલકનું મોત નીપજ્યું હતુ.આ અંગે કાર ચાલક સામે ફરિયાદ નોંધાઈ હતી. તાલુકાના ખેમાણા ગામના કમલેશ ઉર્ફે કિર્તીભાઈ સેધાભાઈ ડગલા તા. 18 નવેમ્બરના રોજ બપોરે ચાર વાગ્યે રિક્ષા નં. જીજે-08-એટી-9661 લઈને ખેમાણાથી પાલનપુર તરફ નીકળ્યા હતા. આ દરમિયાન આદિત્ય ગ્રેનાઇટ નજીક હાઇવે પર કાર નં. જીજે-38-ડીઇ-2869ના ચાલકે રીક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતા કમલેશભાઈને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આથી તેમનું ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. સાથેના સુનીલભાઈ માંગરોળાને સામાન્ય ઇજા થઈ હતી. કારચાલક અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો.આ અંગે મૃતકના પિતા સેધાભાઇ ડગલાએ પાલનપુર તાલુકા પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
એસઓજીની કાર્યવાહી:ડીસામાં લાયસન્સ વિના ચાલતી સિક્યુરીટી એજન્સીના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
બનાસકાંઠા એસઓજીએ બુધવારે ડીસા શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતી પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સીઓની તપાસ હાથ ધરી હતી. જેમાં એક એજન્સી લાયસન્સ વિના ચાલતી હોવાનું બહાર આવતાં તેના સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બનાસકાંઠા એસઓજી પોલીસનો સ્ટાફ બુધવારે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ડીસાની આદર્શ હાઈસ્કૂલના ગેટ પર તૈનાત સિક્યુરીટી ગાર્ડ ગજેન્દ્રસીંહ પ્રવિણસીંહ વાધેલા (રહે. ઉણ, તા. કાંકરેજ)ની પૂછપરછ કરવામાં આવી હતી. ગાર્ડે જણાવ્યું હતું કે તે સૈનીક સીકયુરીટી સર્વીસ કંપની પ્રા. લીમીટેડ, ડીસાના ગાર્ડ તરીકે ફરજ બજાવે છે, પરંતુ તેની પાસે ફરજ બજાવવા માટેના આધાર-પુરાવા નહોતા. આ હકીકત મળતાં પોલીસે સૈનીક સીકયુરીટી સર્વીસ કંપનીના સંચાલકનો સંપર્ક કર્યો હતો. તપાસ દરમિયાન સૈનીક સીકયુરીટી સર્વીસ કંપની પ્રા. લીમીટેડ ડીસાના સંચાલક જીતેન્દ્રકુમાર પ્રભુદાસ ઠક્કર (રહે. અમૃતનગર સોસાયટી ભાગ-૨ ડીસા, હાલ રહે. આકાશવિલા સોસાયટી ભાગ-૨ પાલનપુર હાઈવે રોડ ડીસા)ને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. તેમની પાસેથી એજન્સી ચલાવવા અંગેના આધારભૂત કાગળો માગતા તેમણે જણાવ્યું હતું કે તેમની કંપનીનું રજીસ્ટ્રેશન તા. 21/02/2024 ના રોજ પૂર્ણ થઈ ગયું છે અને હાલમાં તેમની પાસે સિક્યુરીટી એજન્સી ચલાવવા માટેનું કોઈ પરમિટ કે લાયસન્સ નથી. આમ, સંચાલક જીતેન્દ્રકુમાર પ્રભુદાસ ઠક્કરે લાયસન્સ વગર સિક્યુરીટી એજન્સી ચલાવીને પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સી (નિયમન) અધિનિયમનો ભંગ કર્યો હોવાથી તેમની વિરુદ્ધ ડીસા ઉતર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
મહિલાને ગંભીર ઇજા પહોંચી:થરાદ નજીક ભારતમાલા સર્વિસ રોડ ઉપર બાઇક ઉપરથી મહિલા પટકાઈ
વાવ થરાદ જિલ્લાના બુઢનપુર થરાદ ભારતમાલા સર્વિસરોડ ઉપર એક મહિલા બાઇક ઉપરથી પટકાઇ હતી. જ્યાં પાછળ આવી રહેલા પોલીસ અધિકારીએ તેણીને સારવાર માટે ખસેડી હતી. થરાદના બુઢનપુર થરાદ ભારતમાલા સર્વિસ રોડ એક બાઈકનુ ટાયર ફાટતાં પાછળ બેઠેલા થરાદ તાલુકાના રાજકોટના સીતાબેન ગૌસ્વામી નીચે પટકાયા હતા. તેમને શરીરે ગંભીર ઈજાઓ થઇ હતી. દરમિયાન બંદોબસ્ત માંથી પરત આવતા વાવ-થરાદ જીલ્લા ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જે ચૌધરી તથા સ્ટાફે તરતજ ઈજાગ્રસ્ત બહેનને હોસ્પિટલ ખસેડી હતી.
મહેસાણા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાલાના નૂતન સંકુલ ખાતે શ્રી કુંજનાથ જિનાલયના પ્રતિષ્ઠા મહોત્સવનો દ્વિતીય દિવસ અલૌકિક ભક્તિભાવ સાથે ઊજવાયો. આજે પરમાત્મા તથા ધ્વજદંડ વગેરેના દિવ્ય પ્રભાવ ધરાવતી ઔષધીઓ અને તીર્થજળ દ્વારા કુલ 18 અભિષેકનો ભવ્ય કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં પાર પડ્યો. પૂજ્ય રવિસાગરજી મહારાજની દિવ્ય પ્રેરણાથી દાનવીર શેઠ વેણીચંદ સુરચંદ દોશીએ 128 વર્ષ પહેલાં મહેસાણા ગામમાં આ પાઠશાળાની સ્થાપના કરી હતી. હવે આ પાઠશાલા લીંચ ગામ નજીક અમદાવાદ–મહેસાણા હાઈવે પર સ્થિત નૂતન સંકુલમાં સ્થાનાંતરિત થઈ રહી છે. આ પ્રસંગે પૂજ્ય રવિસાગરજી મહારાજની પાઠ પરંપરાનુસાર યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી ના સમુદાયના તપાગચ્છાધિપતિ આચાર્ય પ્રવર શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ ્વરજી તથા રાષ્ટ્રસંત આચાર્ય દેવ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી સહિતના સંતમંડળની નિશ્રામાં કાર્યક્રમ ધર્મમય બન્યો. આગામી 30 નવેમ્બરના રોજ ભારતભરના જૈન શ્રેષ્ઠિઓ અને ભાવિકોની વિશાળ હાજરી વચ્ચે નૂતન જિનાલયમાં શ્રી કુંજનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમાની પ્રતિષ્ઠા વિધિ ભવ્ય રીતે યોજાશે.
મહેસાણા એ ડિવિઝન પોલીસમાં 5 સામે ગુનો નોંધાયો:કસ્બામાં મહોલ્લા આગળથી નીકળવા મામલે યુવક પર હુમલો
મહોલ્લા આગળથી નીકળવા મામલે મહેસાણાના કસ્બા વિસ્તારમાં યુવક અને તેના બનેવીને મારનાર એક મહિલા સહિત પાંચ સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. મહેસાણાના આંબેડકર ચોકમાં વણકરવાસમાં રહેતા વનરાજ રજનીકાંત મકવાણાનો નાનો ભાઈ કિરણભાઈ મકવાણા રાત્રે 8:30 વાગે તેમનું બાઈક લઈને તેમના ઘરેથી કસ્બામાં આંબેડકર ચોક ખાતે જતો હતો. તે સમયે તેમના મહોલ્લાના રાવત મુકુંદ મહેશભાઈએ તેમને ફોન કરી તું કેમ અહીંથી ફૂલ સ્પીડમાં નીકળે છે. તેમ કહ્યું ફોનમાં બોલા ચાલી કરેલ ત્યારે આ વાત તેમના ભાઈ એ ઘરે આવીને તેમને જણાવી હતી. ત્યારબાદ 26 નવેમ્બરના રોજ તેઓ બજારમાં કરિયાણું લઈને ઘરે પરત આવતા તેમના મહોલાના આગળ અગાઉથી જ રાવત મુકુંદ મહેશભાઈ, રાવત લકી મહેશભાઈ, રાવત માનવ કનુભાઈ અને રાવત દલીબેન કનુભાઈ અને રાવત મગીબેન મહેશભાઈ ધોકા જેવા હથિયારો લઈને ઊભા હતા અને તેને ઉભો રાખી તારા ભાઈને સમજાવી દેજે કે અહીંથી બાઈક લઈને નીકળે નહીં તેમ કહી તેમને ગાળો બોલી હતી અને મુકુંદભાઈ એ તેમને ધોકો માર્યો હતો. જ્યારે લકી રાવતે ડાબા હાથની હથેળીના ભાગે છરી મારતાં ઘાયલ થયો હતો.
ખારી નદી પર બનેલા ફ્લાયઓવર પર 30 ગડરો મૂકવાનું કામ ગત સપ્તાહે શરૂ થયું હતું. પાંચ દિવસમાં 30 પૈકી 24 ગડરો મૂકી દેવામાં આવ્યા હતા. જોકે, બાકી રહેલા છ ગડરો મૂકતી વખતે મહાકાય ક્રેનોને ઊભી રાખવા પૂરતી જગ્યા ન હોવાથી કામગીરી ચાર દિવસ માટે સ્થગિત કરવી પડી હતી. ગુરુવારે માર્ગ-મકાન વિભાગ દ્વારા અચાનક અમદાવાદથી મહેસાણા તરફ આવતો રસ્તો બ્લોક કરી બાકી રહેલા ગડરો મૂકવાનું કામ ફરી શરૂ કરાયું. પાલાવાસણા નજીકથી બહુચરાજી રોડ થઈ નાગલપુર તરફ વાહનોને ડાયવર્ઝન આપવામાં આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમ્યાન ફ્લાયઓવર પર તમામ 30 ગડરો મૂકવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે ગડરો વચ્ચેની જગ્યાઓ આરસીસીથી ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે. સાથે જ ફ્લાયઓવરના બંને છેડે બાકી રહેલા માટી પુરાણ બાદ અંતિમ તબક્કે રોડ નિર્માણનું કાર્ય શરૂ થશે.
યાત્રિઓ આપે ધ્યાન:રવિવારે વાંકાનેર - મોરબી વચ્ચે ચાલતી ડેમુ ટ્રેનની તમામ ટ્રિપ રદ
આગામી તા.30 નવેમ્બરના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી ડેમુ ટ્રેનની તમામ ટ્રીપ રદ રાખવામાં આવી છે. રેલવેના સુત્રોએ કરેલી જાહેરાત અનુસાર રવિવાર એટલે કે તા.30 ના રોજ મોરબી વાંકાનેર વચ્ચે દોડતી ટ્રેન નંબર 79452, 79442 , 79454, 79444, 79446 અને 79448 તેમજ વાંકાનેર મોરબી વચ્ચે દોડતી ટ્રેન નંબર 79441, ટ્રેન નંબર 79443 , ટ્રેન નંબર 79453, ટ્રેન નંબર 79445 ,ટ્રેન નંબર 79447 અને 79451 રદ કરવામાં આવી છે. રેલવે સુત્રોએ આ બાબતની તમામ યાત્રિકોને નોંધ લેવા અને ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરવા અપીલ કરી છે. જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય. ભાસ્કર ઇનસાઈડસપ્તાહે એક વાર મેન્ટેનન્સ માટે ટ્રિપ બંધ રાખવાની પરંપરામોરબી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનને સપ્તાહમાં એકવાર ફરજિયાત બંધ રાખવી પડી રહી છે કેમકે રાજકોટ ડિવિઝન પાસે વધારાની એક પણ રેક નથી અને રાજકોટ ખાતે વર્કશોપ કે મેઇન્ટેનન્સ ડેપો પણ ન હોવાથી અમદાવાદ મોકલવી પડી રહી હોવાથી એક દિવસ પુરતી તમામ ટ્રીપ રદ કરવી પડી રહી છે. એક દિવસની 6 ટ્રીપના મુસાફરોની ગણતરી કરીએ તો આવક અને જાવક મળીને દરેક ટ્રીપના અંદાજે 100 મુસાફર ગણીએ તો રોજના 1100થી 1200 મુસાફરો આ ટ્રીપનો લાભ લે છે. અને સસ્તા ભાડાના લીધે ડેમુની ચાહના વધી રહી છે ત્યારે જો રેલવે તંત્ર વધારાની રેક ફાળવે તો સપ્તાહે એક વાર જે રીતે તમામ ટ્રીપ બંધ રાખવાની નોબત આવે છે તે ન આવે અને લોકોને વિના વિક્ષેપ સુવિધા મળે. > જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન
સિટી એન્કર:રેસ્ટોરંટ્સ - હોટેલ્સમાં સ્વચ્છતા માટે FDAની વિશેષ ઝુંબેશ
નાગરિકોને સ્વચ્છ અને પોષક આહાર મળે એ માટે તેમ જ રેસ્ટોરંટ્સ અને હોટેલ્સના ઠેકાણે વાતાવરણ વધુ સરસ રહે એ માટે ટૂંક સમયમાં રાજ્યમાં વિશેષ અભિયાન અમલમાં મૂકવાનો નિર્ણય અન્ન અને ઔષધ પ્રશાસને લીધો છે. આ અભિયાનમાં ઉત્તમ કામ કરનાર રેસ્ટોરંટ્સ અને હોટેલ્સનું સન્માન કરવામાં આવશે. રેસ્ટોરંટ્સ અને હોટેલ્સમાં ગંદકી હોય તો નાગરિકોના આરોગ્યનો પ્રશ્ન ઊભો થાય છે. તેથી હોટેલ અને રેસ્ટોરંટ્સમાં હંમેશા સ્વચ્છતા રહે એ માટે એફડીએ તરફથી તપાસ કરવામાં આવે છે. રેસ્ટોરંટ્સમાં નાગરિકોને સ્વચ્છ અને પોષક આહાર મળે તેમ જ ત્યાં વધુ સરસ વાતાવરણ અને સ્વચ્છતા હંમેશા રહે એ માટે એફડીએએ વિશેષ અભિયાન અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. આ અભિયાન અનુસાર હોટેલ અને રેસ્ટોરંટ માલિકોને સ્વચ્છતા આદત લગાડવા પ્રયત્ન કરવામાં આવશે. આ ઝુંબેશ શહેરો સહિત ગ્રામીણ ભાગમાં તાલુકા સ્તરની રેસ્ટોરંટ અને હોટેલ માટે અમલમાં મૂકવામાં આવશે. એ દષ્ટિએ એફડીએના પ્રાદેશિક વિભાગને કાર્યવાહી કરવાનો નિર્દેશ અન્ન અને ઔષધ પ્રશાસન તથા વિશેષ સહાય વિભાગના મંત્રી નરહરી ઝિરવાળેએ આપ્યો હતો. તો અધિકારી પર કાર્યવાહીરાજ્યમાં પ્રતિબંધિત ગુટકા અથવા એવા સમાન પદાર્થોનું વેચાણ અનેક ઠેકાણે થતું હોવાનું દેખાય છે. ગુટકા, પાનમસાલા, સુંગધીત તંબાકુ જેવા પદાર્થો આરોગ્ય માટે ઘાતક છે. તેથી આ પદાર્થોનું વેચાણ સ્કૂલ કે અન્ય પરિસરમાં ન થાય એની તકેદારી સંબંધિત કાર્યક્ષેત્રના એફડીએના અધિકારીઓએ લેવી જરૂરી છે. તેમ જ પ્રતિબંધિત પદાર્થોનું વેચાણ થતું હોવાનું જણાય તો વેચાણ કરનાર પર કઠોર કાર્યવાહી કરવી એવી સૂચના પણ ઝિરવાળેએ આપી હતી. કાર્યવાહી કરવામાં અધિકારી ગેરજવાબદારી દર્શાવશે તો અધિકારી પર પણ કાર્યવાહી કરવામાં આવશે એવો ઈશારો પણ તેમણે આપ્યો હતો.
વર્ષ 2002 ગુજરાત રમખાણોમાં ઓઢવ પોલીસ મથકે આરોપી રાજુ સોલંકી સામે લઘુમતી કોમના વ્યક્તિનું કારખાનું સળગાવવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે સંદર્ભનો કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં ચાલી જતા 5 સાહેદ અને 3 પુરાવા ચકાસીને કોર્ટે આરોપીને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડ્યો છે. ફરિયાદીને 3.56 લાખનું નુકસાન થયું હતુંકેસને વિગતે જોતા પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી. ત્યારે 1500થી 2000 માણસોનું ટોળું ઓઢવના રોડ ઉપર ભેગું થયું હતું. જેને ઓઢવ શંકર શોપિંગ સેન્ટરના ભોયરામાં આવેલ સ્ટીલ બફિંગનું કારખાનું સળગાવીને લૂંટફાટ કરી હતી. જેમાં ફરિયાદી અયુબ ચૌધરીને 3.56 લાખનું નુકસાન થયું હતું. ટોળાએ એક રિક્ષા પણ સળગાવી હતીગોધરામાં સાબરમતી એક્સપ્રેસ સળગાવીને કાર સેવકોની હત્યા થતા ગુજરાતમાં વાતાવરણ તંગ બન્યું હતું. તેથી ફરિયાદી પોતાનું કારખાનું બંધ કરીને ઘરે જતા રહ્યા હતા. જોકે ફરિયાદી અને અનેક સાક્ષીઓ આ કેસમાં હોસ્ટાઇલ થયા હતા. પોલીસે કહ્યું હતું કે તે આરોપીને ઓળખે છે. જે ઇંગલિશ શરાબનું વેચાણ કરતો હતો તેને ટોળાને ઉશ્કેર્યું હતું. ટોળાએ એક રિક્ષા પણ સળગાવી હતી. જો કે આ કેસમાં કોઈ સ્વતંત્ર સાહેદ નહોતો.
ED અમદાવાદ ઓફિસે સ્પેશિયલ PMLA કોર્ટ સમક્ષ મનસુખ સાગઠિયા અને અન્ય બે સામે મની લોન્ડરિંગ પ્રતિબંધ કાયદાની જોગવાઈઓ હેઠળ ફરિયાદ દાખલ કરી છે. EDએ ACB રાજકોટ દ્વારા નોંધાયેલા FIR પર આધારિત તપાસ હતી. આ FIRમાં મનસુખ સાગઠિયા જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા, તેમના વર્ષ 2012થી 2024ના ચેક-પિરિયડ દરમિયાન 24.31 કરોડ રૂપિયાની ગેરકાયદે સંપત્તિ એકત્ર કરી હોવાનું જણાવાયું હતું. પુત્ર અને પત્નીના નામે અનેક રિકરિંગ ડિપોઝિટ ખાતાEDની તપાસમાં ખુલ્યું કે, મનસુખ સાગઠિયાએ વર્ષ 2015થી 2022 દરમિયાન રાજકોટ હેડ પોસ્ટ ઓફિસમાં તેના પુત્ર કેયુર સાગઠિયા અને પત્ની ભાવના સાગઠિયાના નામે અનેક રિકરિંગ ડિપોઝિટ ખાતાઓ રાખ્યા હતા. આ RD ખાતાઓની સ્ટેટમેન્ટની તપાસમાં જાણવા મળ્યું કે, તમામ ડિપોઝિટ નિયમિત રીતે કેશમાં કરવામાં આવી હતી. પછી આ RD ખાતાઓ બંધ કરી મળેલી રકમથી ઈમુવેબલ પ્રોપર્ટીની ખરીદી કરવામાં આવી હતી. સાગઠિયાએ ઇમુવેબલ-મુવેબલ પ્રોપર્ટીમાં રોકાણ કર્યું હતુંતપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મનસુખ સાગઠિયાએ અનેક ઇમુવેબલ અને મુવેબલ પ્રોપર્ટીમાં રોકાણ કર્યું હતું અને તેમના તથા તેમની પત્ની અને પુત્રના નામે આવેલા અનેક બેંક ખાતાઓનો ઉપયોગ તેમાં કર્યો હતો. અત્યાર સુધી થયેલી તપાસમાં કુલ 21.61 કરોડની રૂપિયા પ્રોપર્ટી જેવી કે રોકડ, સોનું, હીરા, ચાંદીના દાગીના, વિવિધ દેશોની કરન્સીના નોટો, મોંઘી ઘડિયાળો અટેચ કરાઈ છે.
જૂનાગઢ જિલ્લા જેલમાં છેલ્લા કેટલાક સમયથી કેદીઓ અને જેલ તંત્ર વચ્ચે અસુવિધાઓ તેમજ અન્યાયના આક્ષેપોને લઈને તણાવની સ્થિતિ પ્રવર્તી રહી છે. પાંચ દિવસ અગાઉ 40થી વધુ કેદીઓ અને સિપાઇઓ વચ્ચે બોલાચાલી થયા બાદ 40થી વધુ કેદીઓ ભૂડ હડતાળ પર ઉતર્યા હતા. તે સમયે જેલ અધિક્ષકે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. પરંતુ આજે ફરી એકવાર જૂનાગઢ જેલના સર્કલ નં-1ના 50થી વધુ કેદીઓ ભૂખ હડતાળ પર ઉતરતાં જેલ તંત્ર માટે માથાનો દુ:ખાવો ઊભો થયો છે. તો બીજી તરફ અનિરૂદ્ધસિંહ રીબડાને વિશેષ સુવિધા અપાતી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. અનિરૂદ્ધસિંહ રીબડાને વિશેષ સુવિધા આપ્યાનો કેદીઓનો આક્ષેપસર્કલ નંબર-1ના કેદીઓએ જેલ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. કેદીઓની મુખ્ય ફરિયાદ એ છે કે, જેલમાં સજા ભોગવી રહેલા કુખ્યાત આરોપી અનિરૂદ્ધસિંહ જાડેજા (રીબડા)ને જેલ તંત્ર દ્વારા વધારાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જ્યારે સામાન્ય કેદીઓને જેલના નીતિ-નિયમો મુજબની પૂરતી સુવિધાઓ પણ આપવામાં આવતી નથી. આ ભેદભાવને કારણે કેદીઓને અન્યાયની લાગણી સાથે ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. જિલ્લા જેલ અધિક્ષકે કેદીઓ ભૂખ હડતાળની વાતને નકારીકેદીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા બાદ તેમણે બપોરના આવેલા ટિફિન પણ પરત મોકલ્યા હોવાની ચર્ચા હતી. જોકે, જૂનાગઢ જિલ્લા જેલ અધિક્ષક ડી.એમ. ગોહિલે આ વાતને નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે, કેદીઓએ આવેલા ટિફિનમાંથી જ બપોરનું ભોજન કર્યું હતું, પરંતુ જો કેદીઓએ બપોરે ભોજન લઈ લીધું હોય તો ફરી સાંજના સમયે ભૂખ હડતાળનો મુદ્દો શા માટે ઊભો થયો? આનાથી સ્પષ્ટ થાય છે કે, કેદીઓમાં કોઈ પ્રકારનો અસંતોષ કે માગણીઓ હજુ પણ વણઉકેલાયેલી છે. હાલ ભૂખ હડતાળ સમાપ્ત થઈ ગઈ છે: જિલ્લા જેલ અધિક્ષકઆ સમગ્ર મામલે જૂનાગઢ જિલ્લા જેલ અધિક્ષક ડી.એમ. ગોહિલ સાથે વાત કરતા તેમણે કેદીઓના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા અને જેલ તંત્રનો પક્ષ સ્પષ્ટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સર્કલ એકના 50થી વધુ કેદીઓ દ્વારા ભૂખ હડતાળ શરૂ કરવામાં આવી હતી. કારણ કે, તેમની ઘણી માગણીઓ હતી. આ માગણીઓમાંથી કેટલીક વ્યાજબી હતી અને કેટલીક ગેરવ્યાજબી હતી. કેદીઓએ કરેલી માગણી સ્વીકારવામાં આવી છે કે, તેમની બેરેકમાં અગરબત્તી કરવા દેવામાં આવે. જિલ્લા જેલ અધિક્ષકે કહ્યું કે હાલ ભૂખ હડતાળ સમાપ્ત થઈ ગઈ છે. મોટી સંખ્યામાં કેદીઓ મંદિરે-દરગાહએ જાય તો અવ્યવસ્થા ઊભી થાયકેદીઓની અન્ય એક મુખ્ય માગણી હતી કે, હિન્દુ ભાઈઓને જેલ પરિસરમાં આવેલા મંદિર અને મુસ્લિમ ભાઈઓને જેલમાં આવેલી દરગાહ પર મોટી સંખ્યામાં જવા દેવામાં આવે. અધિક્ષકે કહ્યું કે, આટલી મોટી સંખ્યામાં કેદીઓ એકસાથે મંદિરે કે દરગાહે જાય તો જેલમાં અવ્યવસ્થા ઊભી થાય તેમ છે. જેને લઈને માત્ર બેથી ત્રણ વ્યક્તિઓ જ મંદિરે કે દરગાહે જઈ શકે તેવી માગણી સ્વીકારવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા જેલ શહેરની મધ્યમાં આવેલી હોવાને કારણે બહારથી બિનઅધિકૃત વસ્તુઓ પણ જેલમાં ફેંકવામાં આવતી હોય તેવા બનાવો બને છે. જેને લઈને જેલની શાંતિ અને સુરક્ષા ખોરવાઈ શકે તેમ છે. તેથી જેલ તંત્ર દ્વારા તમામ નીતિ-નિયમોનું ચુસ્તપણે પાલન કરીને જ કાર્યવાહી કરવામાં આવે છે. 'અનિરૂદ્ધસિંહ જાડેજાને વધારાની સુવિધા અપાતી નથી': જિલ્લા જેલ અધિક્ષકઅધિક્ષક ગોહિલે અનિરૂદ્ધસિંહ રીબડાને વિશેષ સુવિધા આપવાના આક્ષેપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અનિરૂદ્ધસિંહ જાડેજાને કોઈ વધારાની સુવિધા આપવામાં આવતી નથી. જેમ તમામ કેદીઓને રાખવામાં આવે છે તે જ રીતે અનિરૂદ્ધસિંહ જાડેજાને પણ રાખવામાં આવે છે. જૂનાગઢ જિલ્લા જેલની કેદીઓની સમાવવાની ક્ષમતા માત્ર 250 કેદીઓની છે, પરંતુ હાલમાં આ જેલમાં 500થી વધુ કેદીઓ બંધ છે. ઓવર-કેપેસિટી પણ કેદીઓમાં અસુવિધા અને અસંતોષનું એક મુખ્ય કારણ હોઈ શકે છે. નિયમ મુજબ તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છેઅધિક્ષકે અંતે જણાવ્યું હતું કે, આ 500થી વધુ કેદીઓમાં માત્ર 40થી 50 કેદીઓ જ અલગ અલગ મુદ્દાઓને લઈ ઈશ્યુ ઊભા કરે છે અને પોલીસનું મોરલ ડાઉન કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ જેલ તંત્ર સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખી તમામ નિયમો મુજબ કેદીઓ સાથે વર્તન કરે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, જૂનાગઢ જેલમાં કેદીઓને સારામાં સારૂં જમવાનું આપવામાં આવે છે અને તમામ પ્રકારની સુવિધાઓ પણ નિયમ મજુબ પૂરી પાડવામાં આવે છે.
ડ્રગ્સ તસ્કરીના ગંભીર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)એ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. મિઝોરમ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી NDPS ફરિયાદના આધારે શરૂ કરાયેલી તપાસની કાર્યવાહી હવે મની લોન્ડરિંગનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો છે. ફરિયાદ મુજબ, મિઝોરમ પોલીસે છ વ્યક્તિ પાસેથી 1.41 કરોડની કિંમતનું 4.724 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. આ કામગીરી બાદ ડ્રગ્સ માફિયાઓ દ્વારા કરવામાં આવેલી ગરેકાયદેસર કમાણી તપાસ માટે EDએ PMLA હેઠળ કેસ નોંધ્યો હતો. અમદાવાદમાંથી 35 લાખ રોકડાં મળ્યાડ્રગ્સ કેસમાં મિઝોરમ, આસામ અને ગુજરાત એમ ત્રણેય રાજ્યમાં ED દ્વારા તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. તપાસ દરમિયાન ડ્રગ્સ નેટવર્ક, પૈસાની લેવડદેવડ અને આ કાંડમાં સંકળાયેલા લોકોના નાણાકીય ટ્રેલને પકડવા માટે અનેક સ્થળોએ એક સાથે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત EDની ટીમોએ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને તપાસ કરતા મહત્વના પુરાવાઓ એકત્ર કર્યા હતા. સાથોસાથ અમદાવાદમાં થયેલી તપાસ દરમિયાન આશરે 35 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. જેને ડ્રગ્સ નેટવર્કથી સંકળાયેલા શંકાસ્પદ કમાણી માનવામાં આવી રહી છે. નાણાંકીય ટ્રાન્ઝેક્શનના મહત્વના પેપર જપ્ત કરાયારોકડ સિવાય EDને સર્ચ દરમિયાન ડિજિટલ ઇક્વીપમેન્ટસ, મોબાઇલ, લેપટોપ, હાર્ડડિસ્ક, દસ્તાવેજો અને નાણાંકીય ટ્રાન્ઝેક્શન સંબંધિત મહત્વના પેપર પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ તમામ પુરાવાઓ ડ્રગ્સની કમાણી ક્યાં, કેવી રીતે અને કોના દ્વારા વપરાઈ હતી તેની વિગતવાર તપાસમાં મદદરૂપ બનશે. વધુમાં જાણવા મુજબ પુરાવાઓના આધારે વધુ લોકોને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે અને ભવિષ્યમાં વધુ સર્ચ અથવા અટકાયતી કાર્યવાહી થવાની શક્યતા છે. મની લોન્ડરિંગના હાઈ-લેવલ કનેક્શન બહાર આવે તેવી શક્યતાપુરાવાઓની ફોરેન્સિક તપાસ પછી મની લોન્ડરિંગના હાઈ-લેવલ કનેક્શન બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડ્રગ્સ અને મની લોન્ડરિંગના રાષ્ટ્રીય સ્તરના આ કેસમાં EDની કાર્યવાહી આવતા દિવસોમાં વધુ ઝડપથી આગળ વધશે એવી શક્યતા છે. અમદાવાદ, સુરત સહિત ત્રણ રાજ્યોના નવ સ્થળોએ દરોડાઆ ઉપરાંત પટણા સ્થિત કોન્ટ્રાકટરના રિશુ શ્રી સાથે સંબંધિત મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ 2002ની જોગવાઇઓ હેઠળ અમદાવાદ, સુરત, ગુડગાંવ અને નવી દિલ્હીમાં નવ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરીને 33 લાખની રોકડ રકમ, ડિજિટલ ઉપકરણો, ડાયરીઓ અને અનેક ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા. સર્ચ ઓપરેશનમાં 11.64 કરોડ રોકડ અને દસ્તાવેજો જપ્ત કર્યાબિહાર સરકારના જળ સંસાધન,આરોગ્ય, જાહેર આરોગ્ય ઇજનેરી, શહેરી વિકાસ, બિહાર શહેરી માળખાકીય વિકાસ નિગમ, શિક્ષણ, મકાન અને બાંધકામ અને ગ્રામીણ બાંધકામ વિભાગમાં કોન્ટ્રાક્ટર-પેટા કોન્ટ્રાક્ટર તરીકે રિશુ શ્રી કામ કરે છે ત્યાં ED સ્પેશિયલ વિજિલન્સ યુનિટ દ્વારા તપાસ ચાલી રહી છે. બિહારના પટણામાં વિવિધ સરકારી અધિકારીઓ સાથે સાંઠગાંઠ રચીને ઘણા ટ્રાવેલ એજન્ટો અને ઘણા સરકારી અધિકારીઓના રહેણાંક પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં કુલ રૂ. 11.64 કરોડ રોકડ, વિવિધ ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા હતા. વધુમાં રિશુ શ્રી તેમના પરિવારના સભ્યો અને સંસ્થાઓની રૂ. 68.09 કરોડની સંપત્તિ ઓગષ્ટમાં જપ્ત કરવામાં આવી હતી. ED સ્પેશિયલ વિજિલન્સ યુનિટ દ્વારા તા. 25મીના રોજ અમદાવાદ, સુરત, ગુડગાંવ અને નવી દિલ્હીમાં કુલ નવ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમાં રૂ. 33 લાખની રોકડ, ડાયરીઓ અને ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા છે જેની તપાસ ચાલી રહી છે. મેડિકલ અંગે સીબીઆઇમાં નોંધાયેલી ફરિયાદના પગલે દરોડાતો બીજી તરફ નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા અપાયેલી માન્યતાને લઇને ચોક્કસ મંજુરીઓ આપવામાં આરોગ્ય વિભાગની જુદી જુદી કાઉન્સિલ અને આયોગ દ્વારા પણ ગેરરિતી કરવામાં આવી હોવાના મુદા પ્રકાશમાં આવ્યા હતા. તે અંગે સીબીઆઇ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે ઇડીએ બીજી તપાસ શરૂ કરી છે. આ તપાસ અંતર્ગત આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, ગુજરાત, છતીસગઢ, રાજસ્થાન, બિહાર, યુ.પી. સહિત દિલ્હીમાં ઇડીની ટીમે દરોડા પાડી તપાસનો પ્રારંભ કર્યો છે. અમદાવાદ શહેરના પાલડીમાં પણ વેપારીની પ્રિમાઇસીસમાં પણ ઇડીની ટીમ તપાસ કરી રહી છે. જોકે, આ બાબતે સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓ કોઇ સ્પષ્ટતા કરી રહ્યાં નથી.
સુરતની કોર્ટે બે એવા મહત્ત્વના ચુકાદાઓ આપ્યા છે, જે સમાજમાં ગુનાની ગંભીરતા અને ગ્રાહકની સલામતીની આવશ્યકતા પર પ્રકાશ પાડે છે. એક કિસ્સામાં, એક જ પ્લોટ બે અલગ-અલગ વ્યક્તિઓને વેચીને છેતરપિંડી કરનાર પીડબલ્યુડીના કર્મચારીને કોર્ટે પ્રોબેશનનો લાભ આપવાનો ઇનકાર કરીને બે વર્ષની સજા ફટકારી છે. જ્યારે બીજા એક સંવેદનશીલ કેસમાં, 19 વર્ષ અગાઉ ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા દંપતીના સગીર સંતાનને ગ્રાહક કોર્ટે રૂપિયા 14 લાખનું વળતર ચૂકવવાનો ઐતિહાસિક હુકમ કર્યો છે, જેમાં કોર્ટે ગેસ એજન્સીની 'નિરીક્ષણની ફરજ'ને આવશ્યક સલામતી માપદંડ ગણાવી છે. સરકારી કર્મચારીને બે વર્ષની જેલખજોદ વિસ્તારમાં એક જ પ્લોટ બે અલગ-અલગ લોકોને વેચી દેવાના કેસમાં સંડોવાયેલા પીડબલ્યુડીના કર્મચારી મગન પટેલને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. આરોપીએ એકવાર ફ્લેટ વેચી દીધા બાદ બીજીવાર પણ તેનું વેચાણ કર્યું હતું. જ્યારે ફરિયાદી વેચાણ દસ્તાવેજ કરાવવા ગયા ત્યારે આ છેતરપિંડીનો ખુલાસો થયો હતો.કોર્ટે આ કેસની ગંભીરતાને ધ્યાને લઈને આરોપીને પ્રોબેશનનો લાભ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને બે વર્ષની સજા તેમજ 1,000 દંડનો હુકમ કર્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં મહત્ત્વની નોંધ લેતા જણાવ્યું હતું કે, ગુનાની ગંભીરતા જોતા અને સમાજ પર તેની અસરને ધ્યાને લેતા સજા કરતી વખતે કોર્ટે વધારે પડતી હળવાશ રાખવી જોઈએ નહીં, પરંતુ ગુનાને અનુરૂપ સજા થવી જોઇએ. જોકે, આરોપી સરકારી અધિકારી સામે IPCની કલમ 465, 467, 468 અને 471 હેઠળના તહોમતનામા હતા, પણ ફરિયાદ પક્ષ બનાવટી દસ્તાવેજનો કોઈ ઉલ્લેખ કે FSL રિપોર્ટ રજૂ કરવામાં નિષ્ફળ રહેતા આ ચાર કલમોમાં સજા થઈ નહતી. ગેસ બ્લાસ્ટ કેસમાં 19 વર્ષ બાદ 14 લાખનું વળતરડુંભાલ ખાતે વર્ષ 2006માં ગેસ લિકેજના લીધે થયેલા ધડાકામાં એક યુવાન દંપતીનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં સગીર બનેલા સંતાન દ્વારા વળતર મેળવવા માટે ગ્રાહક કોર્ટમાં કરાયેલી અપીલને કોર્ટે મંજૂર રાખી છે. ગ્રાહક તકરાર નિવારણ ફોરમે ગેસ કંપની અને વીમા કંપનીને મળીને મૃતકના સંતાનને રૂપિયા 14 લાખ ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે ગેસ સિલિન્ડરની ડિલિવરીના બીજા જ દિવસે લિકેજની ફરિયાદ ગેસ કંપનીને કરવામાં આવી હતી, તેમ છતાં કંપનીએ કોઈ દરકાર લીધી ન હતી. ગ્રાહક અદાલતે તેના હુકમમાં જણાવ્યું હતું કે, LPGના જોખમી સ્વભાવને જોતા, ગેસ એજન્સીએ ગ્રાહકના ગેસ કનેક્શનનું સમયાંતરે નિરીક્ષણ કરવું એ માત્ર ઔપચારિકતા નથી, પરંતુ તે એક આવશ્યક સલામતી માપદંડ છે.અગાઉ આ કેસની જિલ્લા કમિશનમાં થયેલી પહેલી હિયરિંગમાં અરજી રદ કરાઈ હતી, જેમાં મૃતકના માતા-પિતાની બેદરકારીને જવાબદાર ઠેરવવામાં આવી હતી. જોકે, અપીલમાં અરજદાર તરફે દલીલ કરાઈ હતી કે જિલ્લા કમિશને ફોરેન્સિક રિપોર્ટ વિના કેસ રદ કરીને ભૂલ કરી હતી. તમામ દલીલોને ધ્યાનમાં લઈને ગ્રાહક તકરાર નિવારણ કમિશને 19 વર્ષ જૂના આ કેસમાં દંપતીના સગીર સંતાનને વળતર ચૂકવવા ગેસ કંપનીને આદેશ આપ્યો છે.
ગુજરાતના ઉત્સાહમાં પહેલી વખત કોઈ ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ યોજવા જઈ રહી છે. ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ ટેનિસ પ્રીમિયર લીગ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા ટેનિસ કોર્ટમાં યોજાવાની છે. આગામી 9 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટેનિસ પ્રીમિયર લીગની 6 લીગ એટલે કે 6 વર્ષ સુધી જેટલી પણ લોગ રમાઇ છે એ બધી જ મહારાષ્ટ્રમાં રમાઈ હતી પરંતુ, આ વખતે પહેલીવાર અન્ય રાજ્યમાં ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. ટેનિસ પ્રીમિયર લીગ સિઝન 7 માટે દેશ અને વિદેશમાંથી ખેલાડીઓ અમદાવાદ આવશે. વર્લ્ડમાં ટોપ 70 ખેલાડીઓ ગુજરાત યુનિવર્સિટી આવશે અને ટુર્નામેન્ટમાં ભાગ લેશે. અલગ-અલગ દેશના ખેલાડીઓ વચ્ચે આ ટુર્નામેન્ટ રમાશેઅમદાવાદ હવે ધીમે-ધીમે સ્પોર્ટ્સ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. 2030માં સૌથી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ એટલે કે કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવાની છે. જેની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે. તે પહેલા અલગ-અલગ ઇન્ટરનેશન ઇવેન્ટ પણ અમદાવાદમાં યોજાવા જઈ રહી છે. ટેનિસ માટેની સૌથી મોટી ટુર્નામેન્ટ એટલે કે ટેનિસ પ્રીમિયર લીગ સિઝન 7 પણ ગુજરાત યુનિવર્સિટીના ટેનિસ કોર્ટમાં યોજાવાની છે. 8 જેટલી ટીમમાં અલગ-અલગ દેશના ખેલાડીઓ વચ્ચે આ ટુર્નામેન્ટ રમાવાની છે. મહત્વની વાત એ છે કે, વર્લ્ડના ટોપ 70 ખેલાડીઓ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાના છે. જેમાં લુસિયાનો ડાર્ડેરી વર્લ્ડમાં નંબર 26 પર છે, એલેક્ઝાન્ડ્રે મુલર વર્લ્ડમાં નંબર 42 પર છે, દામીર ઝુમહુર વર્લ્ડમાં નંબર 57 પર છે. તેમજ બે વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રોહન બોપન્ના, સાનિયા મિર્ઝા, મહેશ ભૂપતિ સહિતના ખેલાડીઓ ટેનિસ પ્રીમિયર લીગ સિઝન-7માં ભાગ લેવાના છે. રાજસ્થાનના બદલે ગુજરાતમાં ટુર્નામેન્ટ કરવાની તક આપવામાં આવીગુજરાત યુનિવર્સિટીના ટેનિસના ડાયરેક્ટર વૈદિક મુન્શાએ જણાવ્યું હતું કે, આ લીગ 6 વર્ષ સુધી મહારાષ્ટ્રની બહાર જ ગઈ નથી. આ વખતે રાજસ્થાને ટુર્નામેન્ટ કરવા માટે ઓફર કરી હતી પરંતુ, રાજસ્થાનના બદલે ગુજરાતમાં ટુર્નામેન્ટ કરવાની તક આપવામાં આવી છે. કારણ કે આ ટુર્નામેન્ટમાં વર્લ્ડના ટોપ પ્લેયરો લેતા હોય છે. જેના કારણે ગુજરાતના ખેલાડીઓને જોઈને શીખી શકે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમજ ગુજરાતના ખેલાડીઓને વર્લ્ડ ટોપના ખેલાડીઓ પાસેથી ઘણું બધું શીખવા મળશે. તેમજ પહેલી વખત SONY LIVE અને JIO Hotstar પર લઈ થવાની છે. જેથી ગુજરાત યુનિવર્સિટી માટે આ ગર્વની વાત છે. ગુજરાતના ખેલાડીઓ વર્લ્ડના ખેલાડીઓની ગેમ્સ જોઈને મોટીવેટ થશે. ટેનિસ પ્રીમિયર લીગ યોજવાની ગુજરાત યુનિવર્સિટીમાં તક મળીગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં અલગ અલગ સ્પોર્ટ્સની ફેસિલિટી ઊભી કરવામાં આવી છે. જે બાદ ખેલાડીઓ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર પહોંચી રહ્યા છે. તેમજ ટેનિસ પ્રીમિયર લીગ યોજવાની ગુજરાત યુનિવર્સિટીમાં તક મળી છે. દેશભરમાં ખેલાડીઓ આવશે અને આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાના છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કોચ અત્યારે તૈયારી કરાવે છે તેની સાથે સાથે આ ટુર્નામેન્ટથી પણ ઘણો ફાયદો તેમને થવાનો છે. ધીમે ધીમે ટેનિસ રમવાનો અને શીખવાનો અભિગમ બનતો જાય છે.
સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતાં ચીફ સિક્યુરીટી ઓફિસર જાગૃત નાયક ફરી એકવાર ગંભીર વિવાદમાં સપડાયા છે. મુગલીસરા ખાતે આવેલી તેમની ઓફિસમાં તેઓ ખુલ્લેઆમ પ્રતિબંધિત ઈ-સિગારેટ ફૂંકી રહ્યા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ ગેરવર્તણૂક બદલ એડી. સિટી ઈજનેર અને વોચ એન્ડ વોર્ડ વિભાગના વડા ભગવાકરે સી.એસ.ઓ. જાગૃત નાયકને ચાર્જશીટ ફટકારી છે. અધિકારી કેબિનમાં બેસીને ખુલ્લેઆમ ઈ-સિગારેટ ફૂંકતા હોવાનો વીડિયો વાઈરલશહેરમાં એક તરફ પોલીસ દ્વારા ઈ-સિગારેટનું વેચાણ કરનારાઓ વિરુદ્ધ કડક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, કારણ કે ભારતમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઈ-સિગારેટમાં તમાકુને બદલે નિકોટીનનો ઉપયોગ થાય છે અને તેના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થાય છે તેમછતાં સુરત મનપાની મુખ્ય કચેરીમાં જ એક જવાબદાર અધિકારી દ્વારા ચાલુ નોકરીએ તેમની કેબિનમાં બેસીને ખુલ્લેઆમ ઈ-સિગારેટ ફૂંકવામાં આવતી હોવાનો વીડિયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં જ જાગૃત નાયકને યુનિયનોની ખાલી થયેલી નીચેની ઓફિસ ફાળવવામાં આવી છે. આ ઓફિસ મુખ્ય કચેરીમાં આવનારા-જનારા લોકોને સ્પષ્ટ દેખાય તેવી જગ્યાએ આવેલી હોવાથી ઘણા લોકોએ તેમને ઈ-સિગારેટ ફૂંકતા જોયા હતા. વાયરલ થયેલા વીડિયોમાં જાગૃત નાયક સ્પષ્ટપણે ઈ-સિગારેટના ધુમાડા ઉડાવતાં નજરે પડી રહ્યા છે. પ્રતિબંધિત વસ્તુનું સેવન કરવા બદલ અધિકારીને ચાર્જશીટ ફટકારી આ વીડિયોના આધારે વોચ એન્ડ વોર્ડ વિભાગના વડા ભગવાકરે તાત્કાલિક જાગૃત નાયકને બોલાવીને આ મામલે સખત ખખડાવ્યા હતા અને ફરજ પર પ્રતિબંધિત વસ્તુનું સેવન કરવા બદલ તેમને ચાર્જશીટ ફટકારી હતી.અઢી વર્ષમાં બીજી વખત ચાર્જશીટ અને ઇજાફો અટકાવ્યો હતો. જાગૃત નાયક અગાઉ પણ કોઈને કોઈ કારણોસર વિવાદમાં આવી ચૂક્યા છે. તેમના ગેરવર્તણૂક અને વિવાદાસ્પદ મુદ્દાઓને કારણે તેમને અગાઉ પણ ચાર્જશીટ મળી ચૂકી છે. આ ઘટના સાથે, છેલ્લા અઢી વર્ષમાં તેમને બીજી વાર ચાર્જશીટ આપવામાં આવી છે, જ્યારે એકવાર શો-કોઝ નોટિસ પણ અપાઈ હતી. એટલું જ નહીં, અગાઉ એક વખત ગેરવર્તણૂક બદલ તેમનો ઈજાફો પણ અટકાવી દેવામાં આવ્યો હતો. વારંવાર વિવાદમાં આવતા આ અધિકારી સામે આકરા પગલાં લેવામાં આવે છે કે કેમ, તે હવે જોવું રહ્યું. તાજેતરમાં જ યુનિયનની ખાલી કરાયેલી ઓફિસમાં જાગૃત નાયકને ઓફિસ ફાળવાઈ હતી, યુનિયનવાળાએ વીડિયો ઉતાર્યો હોવાનો આક્ષેપ છે.
પ્રાંતિજમાં દેશી દારૂની ભઠ્ઠી પર SMCના દરોડા:1.95 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપી ઝડપાયા, ચાર ફરાર
પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં માવાની મૂવાડી (મવાપુર) ખાતે ખારી નદી નજીક દેશી દારૂની ભઠ્ઠી ચલાવાતી હોવાની બાતમી આધારે SMCની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ. જેના અંતર્ગત કુલ ₹1,95,135નો મુદ્દામાલ કબજે કરાયો અને ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે ચાર આરોપી ફરાર છે. મુદ્દામાલ વિગત : ઝડપાયેલા આરોપી: વૉન્ટેડ આરોપી : આ દરોડાની કાર્યવાહી PSI જે એચ સિસોદિયા દ્વારા SMC ટીમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ 65 A,E,B,C,D,F, 81, 83, 98(2) તથા ભારતિય ન્યાય સંહિતા -2023ની કલમ 111(2)B, 111(3)(4) અંતર્ગત ગુનો નોધ્યો છે. પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
ગાંધીનગર ઈન્ફોસિટીમાં ઓફિસ ખોલી ઠગ દંપતીએ ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના 'નકલી ટેન્ડર'ના દસ્તાવેજો બનાવી અનેક વેપારીઓ પાસે રોકાણ કરાવી કરોડોની છેતરપિંડી આચર્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. ગઈકાલે ઇન્ફોસિટી પોલીસે મહાઠગ નીરવ દવેની ધરપકડ કરી લીધી હતી, જેને આજે કોર્ટમાં રજુ પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જોકે, ઠગાઇના કરોડો રૂપિયાનું પગેરુ શોધવા હવે પોલીસ ધ્વારા મહાઠગની સાથે તેના નિવૃત નાયબ સચિવ પિતાની પણ પૂછતાછ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે પૈસા પડાવ્યાગાંધીનગરના સેક્ટર 23માં પ્રાણકુંજ સોસાયટીમાં રહેતા અને ઈન્ફોસિટી સુપર મોલમાં ઓમ એન્ટરપ્રાઇઝ ચલાવતા નીરવ દવે અને તેની પત્ની મીરા દવેએ છેલ્લા ઘણા સમયથી ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાના ટેન્ડર લાગ્યા હોવાના નકલી દસ્તાવેજ બનાવીને વેપારીઓને રોકાણના બદલામાં મોટો નફો આપવાની લાલચ આપી હતી. અમદાવાદના એક વેપારી સાથે પણ આશરે 54 લાખની ઠગાઈઆ ઠગ દંપતીએ વડનગર, પાટણ, દ્વારકા, સુરત અને અમરેલીમાં ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નામના સરકારી ટેન્ડર બતાવી કુલ 22 કરોડથી વધુનું ફુલેકું ફેરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે પછી બીજા વેપારીઓ સાથે પણ ઠગાઈ થયાનું સામે આવતા વેપારી આલમમાં ઠગાઇનો આંકડો 40 કરોડ સુધી પહોંચી ચૂક્યો હતો. એવામાં ગુજરાત વોડાફોનના પૂર્વ હેડ મુનીર પઢિયાર ઉપરાંત અમદાવાદના એક વેપારી સાથે પણ આશરે 54 લાખની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું હતું. ધરપકડથી બચવા ઠગ દંપતીને આગોતરા જામીન પણ કરી હતીઆમ ઠગાઈનો આંકડો 41 કરોડ સુધી પહોંચ્યો છે. જોકે, હજી પણ ઠગાઈનો ભોગ બનનાર વેપારીઓ પોલીસના વેધક સવાલોના ડરથી સામે આવી રહ્યા નથી. જોકે કરોડોની ઠગાઈ મામલે ઇન્ફોસિટી પોલીસે અલગ-અલગ ત્રણ ગુના દાખલ કરી ઠગ દંપતીની શોધખોળ આદરી હતી. એવામાં ધરપકડથી બચવા ઠગ દંપતીને આગોતરા જામીન પણ કરી હતી. જોકે જામીન અરજી રિજેક્ટ થતા પોલીસ ધ્વારા ગઈકાલે નિરવ દવેની ધરપકડ કરી લેવાઈ હતી. પત્ની મીરાએ મૂકેલી જામીન અરજીનો નિર્ણય પેન્ડિંગ છેજ્યારે તેની પત્નીની જામીનની સુનાવણી થઈ ચૂકી છે. પણ ઓર્ડર પેન્ડિંગ રાખવામાં આવ્યો છે. આ અંગે પીઆઈ વી આર ખેરે કહ્યું કે, નીરવનાં ચાર દિવસના એટલે કે સોમવાર સુધીના રિમાન્ડ મેળવામાં આવ્યા છે. જેના બેંક એકાઉન્ટ અગાઉ સીઝ કર્યા હતા. જેની પ્રાથમિક પૂછતાછમાં ભોગ બનનાર વેપારીઓને ઠગાઇના રૂપિયાથી ત્રણ ટકે પૈસા આપતો હોવાનો દાવો કરી રહ્યો છે. કરોડો રૂપિયાનું પગેરુ શોધવાની સાથે નીરવની સાથે તેના નિવૃત નાયબ સચિવ પિતાની પૂછપરછ કરવામાં આવશે. જ્યારે તેની પત્ની મીરાએ મૂકેલી જામીન અરજી નો નિર્ણય પેન્ડિંગ છે. જે કાલ સુધીમાં ખબર પડશે.
સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા અને એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બાબુભાઇ ઉર્ફે રાજુભાઇ ધણગણ નામના યુવકને અમરેલી જિલ્લામાં હેડ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા સંજય કલસરીયા (આહીર) નામના પોલીસ કર્મચારીએ ફેસબુક પર અચાનક ગાળો અને અભદ્ર મેસેજ મોકલીને હેરાન કરતાં શિક્ષકે આખરે ગોડાદરા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. હવે પોતાના વિભાગના કોંસ્ટબલ વિરુદ્ધ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મેસેજીસમાં તુકારાભર્યા શબ્દોનો ઉપયોગ થયોશિક્ષક બાબુભાઇ ધણગણ (ઉ.વ. 35, રહે. ગોડાદરા, સુરત)એ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી કે તેઓ છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં પરિવાર સાથે રહી ખાનગી શાળામાં શિક્ષકની નોકરી કરે છે. તેઓ તેમના ફોનમાં 'રાજુભાઇ ધણગણ' નામથી છેલ્લા દસેક વર્ષથી ફેસબુક એકાઉન્ટ ચલાવે છે. તારીખ 26/11/2025 ના રોજ રાત્રે આશરે 9:30 વાગ્યે તેઓ જમીને ઘરે હાજર હતા, તે સમયે તેમના ફેસબુક એકાઉન્ટ પર 'સંજય આહીર' નામના આઈડી પરથી મેસેજ આવવાના શરૂ થયા હતા. આ મેસેજીસમાં 'hey', 'ક્યાંનો છો', 'તુ ક્યાંનો છો' જેવા તુકારાભર્યા શબ્દોનો ઉપયોગ થયો હતો, સાથે જ વીડિયો કોલ અને ઓડિયો કોલ પણ કરવામાં આવ્યા હતા, જે શિક્ષકે રિસીવ કર્યા નહોતા. શિક્ષકને અપશબ્દો લખીને બિભત્સ ગાળો આપવાનું શરૂ કરી દીધું શિક્ષક બાબુભાઈએ સામેથી મેસેજ કરીને 'કેમ ભાઈ તું મને તુકારાથી બોલાવે છે' તેમ પૂછતાં જ આ સંજય આહીર નામના ફેસબુક એકાઉન્ટ ધારકે તમામ મર્યાદાઓ ઓળંગી દીધી હતી. તેમણે શિક્ષકને ગમે તેમ અપશબ્દો લખીને બિભત્સ ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું. શિક્ષકે જ્યારે મેસેજથી તેમને સંસ્કાર અંગે ટકોર કરી કે 'તને આવા સંસ્કારો આપ્યા લાગે તારા માં બાપે', ત્યારે પોલીસ કર્મચારી વધુ ઉશ્કેરાયા હતા અને અપશબ્દોનો મારો ચાલુ રાખ્યો હતો. પરિવારે સમજાવવાનો પ્રયાસ કર્યોસતત ગાળાગાળી અને હેરાનગતિથી કંટાળીને શિક્ષકે પોતાના આહીર સમાજના પરિચિતો મારફતે આ સંજય આહીર કોણ છે તેની તપાસ કરાવી હતી. તપાસ દરમિયાન તેમના મિત્ર ભાવેશભાઈ કલસરીયાએ રાત્રે 9:51 વાગ્યે ફોન કરીને પુષ્ટિ કરી હતી કે, આ વ્યક્તિ સંજય કલસરીયા (આહીર) છે, જે તેમના જ કુટુંબનો છે અને અમરેલી જિલ્લામાં કોન્સ્ટેબલ તરીકે સરકારી નોકરી કરે છે. તે બાબરીયાધાર ગામનો રહેવાસી હોવાની માહિતી પણ મળી હતી. પોલીસકર્મી તરફથી થતા આ પ્રકારના વર્તનને અટકાવવા માટે શિક્ષકે આ સંજય આહીરનો મોબાઇલ નંબર મેળવીને પોતાના પરિવારના સભ્યો દ્વારા ટેલિફોનિક વાતચીત કરીને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ કોન્સ્ટેબલે સમજાવવા આવેલા પરિવારના સભ્યોને પણ બિભત્સ ગાળો આપી હતી. સરકારી કર્મચારીઓ દ્વારા સો.મીડિયાના દુરુપયોગ પર ગંભીર સવાલસરકારી નોકરી પર રહેલા વ્યક્તિ દ્વારા જાહેરમાં આ પ્રકારનું અભદ્ર અને અસભ્ય વર્તન કરવામાં આવતા આખરે શિક્ષક બાબુભાઇ ધણગણે તેમના મિત્ર સંજય જીંજાળા સાથે ગોડાદરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને સંજય કલસરીયા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. એક શિક્ષકને સોશિયલ મીડિયા પર ગાળો આપીને હેરાન કરનાર પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ પોલીસે હવે સાયબર ક્રાઈમ અને આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઘટના સરકારી કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયાના દુરુપયોગ અને તેમના વર્તન પર ગંભીર સવાલો ઊભા કરે છે. આ મામલે પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ સખત પગલાં લેવાય તેવી માંગણી કરવામાં આવી રહી છે.
રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એકનું મોત નીપજ્યું છે. રાજકોટના માધાપર ચોક નજીક લગ્નમાં જઇ રહેલા ભટ્ટી પરિવારને અકસ્માત નળતા મહિલાનું મોત નીપજ્યું છે. આજ રોજ રાત્રીના સમયે કેતનભાઇ બાબુભાઈ ભટ્ટી (ઉ.વ.41) પોતાના પત્ની રૂપલબેન કેતનભાઇ ભટ્ટી (ઉ.વ.38) અને દીકરી મિસરી કેતનભાઇ ભટ્ટી (ઉ.વ.13) બાઇકમાં સંબંધીના લગ્નમાં જઈ રહ્યં હતા દરમિયાન માધાપર ચોકથી બેડી જવા રસ્તા તરફ બ્રિજ ઉપર પહોંચ્યા ત્યારે બાજુમાંથી ટ્રક પસાર થતા બાઈક ચાલક કેતનભાઈ ગભરાઈ જતા વાહન સ્લીપ થયું હતું અને પરિવારના ત્રણેય સભ્યો નીચે પટકાયા હતા જેમાં ગંભીર રીતે ઘાયલ રૂપલબેનનું મોત નીપજ્યું હતું જયારે પતિ કેતનભાઈ અને દીકરી મિસરી ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે જાણ થતા પોલીસે વધુ તપાસ હાટ ધરી છે. લિસ્ટેડ બુટલેગરે પાર્સલની આડમાં ટ્રાન્સપોર્ટ મારફત દમણથી મોકલાવેલ દારૂ ઝડપાયો રાજકોટ શહેર PCB ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે મોટી ટાંકી ચોક પાસે અમર સ્ટેશનરી ઝેરોક્ષ નજીક રોડ ઉપરથી અતુલ શક્તિ માલવાહક રિક્ષામાંથી રૂ.2.59 લાખની કિંમતની દારૂની 912 બોટલ તેમજ રીક્ષા મળી કુલ રૂ.3,39,776ના મુદ્દામાલ સાથે નવાજ દોસ્તમહંમદ ભાડુલા (ઉ.વ.24) ની ધરપકડ કરવામાં આવી છે. દારૂનો જથ્થો રાજકોટના લિસ્ટેડ બુટલેગર યાકુબ મોટાણીએ ટ્રાન્સપોર્ટ મારફતે દમણથી મોકલ્યો હતો. તે છેલ્લા એકાદ માસથી જરૂરિયાત મુજબ દમણથી દારૂ મોકલતો હતો અને અહીં નવાજ બુટલેગરોને દારૂની સપ્લાય પુરી પાડતો હતો. જેથી પીસીબીએ રાજકોટ, સુરત, વલસાડ સહિતના શહેરોમાં હત્યા, દારૂ સહિતના 21 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ લિસ્ટેડ બુટલેગર યાકુબ મોટાણીણી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. યુવતીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી ફોટા અને રિલ્સ વાયરલ કરી 150 ફૂટ રિંગરોડ નજીક રહેતી 19 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, પોતે ભાડેથી રૂમ રાખીને અન્ય ત્રણ બહેનપણીઓ સાથે રહે છે. પોતે કારના શો રૂમમાં નોકરી કરે છે. અને પોતે ઇન્સ્ટાગ્રામ એપનો ઉપયોગ પણ કરે છે. ગત તા.31.10.2025ના રાત્રે ઘરે હતી ત્યારે તેમની કોલેજની ફ્રેન્ડે ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. પર મેસેજ કરીને જાણ કરી હતી કે, ઇન્સ્ટાગ્રામમા તે એક પ્રોફાઇલ એકાઉન્ટ બનાવેલ છે જેથી તે ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ચેક કરતા આ આઇડી પોતે બનાવેલ ન હતું અને ઇન્સ્ટાગ્રામમા ફેક આડી ઉપર ચેક કરતા આ ફેક આઇડીના પ્રોફાઇલ પિક્ચરમાં તેના અસલ ઇન્સ્ટાગ્રામ આઇડી પર પોસ્ટ કરેલ તેમના ફોટા તેમની પરવાનગી વિના મેળવીને આ ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી રાખ્યા હતા. તથા તા.30.10.2025ના તેના જુદા જુદા ફોટાથી રીલ્સ બનાવીને પણ પોસ્ટ કરેલ હતી. આ ફેક આઇડીનો ઉપયોગ કરનાર ફ્રેન્ડ સર્કલને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી રહ્યો હોય જે બાબતની જાણ થતા આ અજાણ્યા વ્યક્તિએ તેમની જાણ બહાર ફોટાઓ મેળવી પરમિશન વિના ઇન્સ્ટાગ્રામ ફેક આઇડી બનાવી પ્રોફાઇલ પિક્ચરમાં તેણીના ફોટો તથા ફોટાથી રીલ્સ બનાવી પોસ્ટ કરીને માનસિક રીતે હેરાનગતી કરતા સાયબર હેલ્પ લાઇન 1930 પર અરજી કરી હતી. જે બાદ સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી રાજકોટમાં જ રહેતાં અને યુવતીના પૂર્વ મિત્રને પકડી પુછપરછ કરતા યુવતીએ આરોપી સાથે મિત્રતા તોડી નાંખતા આ કૃત્ય કર્યાનું રટણ કર્યું હતું.
શહેરમાં દિન-પ્રતિદિન કોમર્શિયલ અને રેસીડેન્સિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે. ખાસ કરીને હવે શહેરમાં 30 માળની બિલ્ડીંગો બની રહી છે. શહેરના સિંધુભવન, એસ.જી. હાઇ-વે, ઇસ્કોન, થલતેજ, છારોડી, બોડકદેવ, આંબલી, સહિતના વિસ્તારોમાં હાઇરાઇઝ ઈમારતો બનશે. કોમર્શિયલ અને રેસીડેન્સિયલ મળી 17 બિલ્ડીંગોને મંજૂરી આપવામાં આવેલી છે મોટાભાગના પ્રોજેક્ટ આગામી 2027 સુધીમાં તૈયાર થઇ જશે. શહેરમાં બનનારી હૈરાઈઝ બિલ્ડીંગોને રજા ચિઠ્ઠીની મંજૂરી આપવાથી મ્યુનિ.ને FSIની 250 કરોડથી વધુ આવક થશે. કરોડો રૂપિયા 17 હાઇરાઇઝ પ્રોજેક્ટમાં 2030 યુનિટ રેસીડેન્સી અને 2386 યુનિટ કોમર્શીયલ યુનિટ બનશે. 17 જેટલી હાઇરાઇઝ બિલ્ડીંગો જે 25થી લઈને 32 માળ સુધીની બનશેસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં દિન-પ્રતિદિન હાઇરાઇઝ બિલ્ડીંગો બનાવવા માટે ડેવલોપર દ્વારા મંજૂરી માંગવામાં આવે છે ત્યારે 30 માળથી વધુ બિલ્ડીંગો બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 17 જેટલી હાઇરાઇઝ બિલ્ડીંગો જે 25થી લઈને 32 માળ સુધીની બનશે. કોમર્શિયલ અને રેસીડેન્સિયલ બંને પ્રકારની બિલ્ડીંગો બનવાની છે. અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ડિમાન્ડ વધવાની શક્યતા સેવાઈ રહી છે. ડેવલોપર્સ દ્વારા સારા, ગુણવત્તાયુક્ત અને લોકોની પસંદગી મુજબના સંપૂર્ણ સુવિધાવાળા હાઇરાઇઝ રેસીડેન્સીયલ અને કોમર્શિયલ પ્રોજેકટ બનાવવામાં આવી રહ્યા છે.
ગુજરાત રાજ્ય મુખ્ય નિર્વાચન અધિકારીની સૂચના મુજબ રાજકોટ શહેર અને જિલ્લામાં મતદાર યાદી ખાસ સુધારણા ઝૂંબેશ અંતર્ગત 4 ડિસેમ્બર સુધીમાં 23.91 લાખ મતદારોના ફોર્મ જમા કરાવવાના છે ત્યારે રાજકોટમાં વિધાનસભા મત વિસ્તારમાં અલગ અલગ સ્થળો ઉપર લોકો પોતાના ફોર્મ જમા કરાવી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ કેમ રાખવામાં આવ્યો છે. જે દરમિયાન મતદારો પોતાના ફોર્મ જમા કરાવી શકશે. 68 રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના જે મતદારોને તેમના મતદારયાદી ખાસ સંક્ષીપ્ત સુધારણાના ગણતરી ફોર્મ જમા કરાવવાના બાકી છે તેઓ 29 તથા 30 નવેમ્બરના તેમના ફોર્મ જમા કરાવી શકશે. જે માટે (1)મામલતદાર કચેરી, રાજકોટ શહેર (પૂર્વ), જુની કલેકટર કચેરી કમ્પાઉન્ડ, આઈ.પી. મીશન સ્કૂલ સામે, રાજકોટ (2) મહાનગર પાલિકા વોર્ડ નં.3,4, 5, 6, 15, 16, 18 ની કચેરીઓ (3) તમામ મતદાન મથક ખાતે તા.29 નવેમ્બરના રોજ બપોરના 12 થી સાંજના 5 વાગ્યા સુધી અને તા.30 નવેમ્બરના સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધી મતદારો ઉપરોક્ત સ્થળોએ તેમના ફોર્મ જમા કરાવી શકશે. 69 રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકના જે મતદારોને તેમના મતદારયાદી ખાસ સંક્ષીપ્ત સુધારણાના ગણતરી ફોર્મ જમા કરાવવાના બાકી છે, તેઓ (1) મામલતદાર રાજકોટ શહેર પશ્ચિમ ની કચેરી, આત્મીય કોલેજ સામે, રાજકોટ, (2) પ્રાંત અધિકારી રાજકોટ શહેર-2ની કચેરી, કોઠી કમ્પાઉન્ડ, રાજકોટ (3) વોર્ડ નં.1, 2,3,7,8,9,10 અને 11 ની વોર્ડ ઓફીસ, (4) સંબંધિત મતદાન મથકો ખાતે તેમના ફોર્મ જમા કરાવી શકશે. જ્યારે 70 દક્ષિણ રાજકોટ વિધાનસભા બેઠકના જે મતદારો (1) મામલતદાર રાજકોટ શહેર દક્ષીણ ની કચેરી, પી.ડી. માલવીયા કોલેજ પાસે, રાજકોટ (2) વોર્ડ નં.7, 8,13,14,17 અને 18 ની વોર્ડ ઓફીસ (3) સંબંધિત મતદાન મથક ખાતે મતદારો ઉપરોક્ત સ્થળોએ તેમના ફોર્મ જમા કરાવી શકશે. આ ઉપરાંત 73 ગોંડલ વિધાનસભા બેઠકના જે મતદારોને તેમના મતદારયાદી ખાસ સંક્ષીપ્ત સુધારણાના ગણતરી ફોર્મ જમા કરાવવાના બાકી છે, તેઓ (1) મામલતદાર કચેરી, ગોંડલ, (2) તાલુકા પંચાયત કચેરી, ગોંડલ (3) નગરપાલિકા કચેરી, ગોંડલ (4) શાળા નંબર 5, ભગવતપરા, ગોંડલ ખાતે તેમના ફોર્મ જમા કરાવી શકશે.
મોરબીની રૂષભનગર સોસાયટીની મહિલાઓએ પાણીના પ્રશ્ને મહાપાલિકા કચેરી ખાતે 9 કલાક સુધી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. મહાપાલિકાના અધિકારીઓએ નિયમિત પાણી પૂરું પાડવાની ખાતરી આપતા આંદોલન સમેટાયું હતું. સનાળા રોડ પર આવેલી રૂષભનગર સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી પીવાનું પાણી પાઇપલાઇન દ્વારા પૂરતા પ્રમાણમાં અને નિયમિત મળતું ન હતું. આ સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિક લોકો, ખાસ કરીને મોટી સંખ્યામાં મહિલાઓ, સવારે 11 વાગ્યે વાજતે ગાજતે રેલી સ્વરૂપે મહાપાલિકા કચેરી પહોંચ્યા હતા. કચેરી ખાતે કમિશનર કે ડેપ્યુટી કમિશનર હાજર ન હોવાથી મહિલાઓએ ત્યાં જ રામધૂન શરૂ કરી હતી. બાદમાં ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ રજૂઆત સાંભળીને એકાંતરા પાણી આપવાની ખાતરી આપી હતી. જોકે, આ ખાતરીથી લોકોને સંતોષ ન થતાં મહિલાઓ સહિતના લોકો મહાપાલિકા કચેરીમાં જ રોકાયા હતા. મહિલાઓએ બપોરનું ભોજન પણ કચેરીના પટાંગણમાં જ લીધું હતું અને સાંજના 7 વાગ્યા સુધી રામધૂન ચાલુ રાખી હતી. આખરે, અધિકારીઓએ નિયમિત અને સમયસર પાણી આપવાની તેમજ પ્રશ્નનો કાયમી ધોરણે ઉકેલ લાવવા ઝડપથી કામગીરી કરવાની ખાતરી આપતા સ્થાનિક લોકોએ આંદોલન સમેટી લીધું હતું અને ઘરે પરત ફર્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વકતાપુર ગામે કે.કે. કોઠારી હાઈસ્કૂલ ખાતે ત્રિદિવસીય જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો પ્રારંભ થયો છે. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે આ પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું, જેમાં જિલ્લાભરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા 70 કૃતિઓ રજૂ કરવામાં આવી છે. આ પ્રદર્શન ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર પ્રેરિત તાલીમ ભવન તથા પ્રાથમિક-માધ્યમિક નવયુગ કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત કે.કે. કોઠારી હાઈસ્કૂલ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન 2025-26 માટેનું જિલ્લા સ્તરીય આયોજન છે. ધારાસભ્ય વી.ડી. ઝાલાએ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક ચિંતન, નવીનતા અને શોધ પ્રવૃત્તિઓ તરફ પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવું ભારત અને ટેકનોલોજી આધારિત ભારત સર્જવા માટે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવાના પ્રયાસોને સમગ્ર દેશ બિરદાવી રહ્યો છે. ધારાસભ્યએ વાલીઓ અને શિક્ષકોને પણ બાળકોની પ્રતિભા વિકસાવવામાં વધુમાં વધુ સહભાગી થવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ માર્કેટયાર્ડ ચેરમેન રાજુભાઈ પંચાલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ વિનયભાઈ પટેલ, તાલુકા સભ્ય જીતેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કેયુરભાઈ ઉપાધ્યાય, જિલ્લા શિક્ષણ અધિકારી મીતાબેન ગઢવી, પ્રાચાર્ય ડો. મદનસિંહ ચૌહાણ, ટ્રસ્ટ પ્રમુખ બેચરભાઈ પટેલ, આચાર્ય દિનેશભાઈ પટેલ, ડેપ્યુટી એન્જિનિયર આરીફભાઈ ખણુસિયા સહિત અનેક આગેવાનો, મોટી સંખ્યામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાબરકાંઠા જિલ્લામાં મતદારોના આધાર-પુરાવા એકત્રિત કરવા માટે 29 અને 30 નવેમ્બર, 2025 ના રોજ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) 2026 અંતર્ગત આ બે દિવસીય કેમ્પ જિલ્લાના તમામ સ્થળોએ યોજાશે, જેમાં બાકી રહી ગયેલા મતદારો પોતાના આધાર પુરાવા રજૂ કરી શકશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ મતદારોને આ કેમ્પનો લાભ લેવા અને પોતાના દસ્તાવેજો જમા કરાવવા અપીલ કરી છે. કેમ્પ શનિવાર, 29 નવેમ્બર, 2025 ના રોજ બપોરે 12:00 કલાકથી સાંજે 05:00 કલાક સુધી અને રવિવાર, 30 નવેમ્બર, 2025 ના રોજ સવારે 09:00 કલાકથી સાંજે 05:00 કલાક સુધી કાર્યરત રહેશે. આ કેમ્પ માટે વિવિધ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. હિંમતનગર વિધાનસભા મતવિભાગ માટે હિંમતનગર જનસેવા કેન્દ્ર, ઇડર વિધાનસભા માટે ઇડર મામલતદાર કચેરી અને પ્રાંત ઓફિસનો મીટિંગ હોલ, વડાલીમાં મામલતદાર ઓફિસ, ખેડબ્રહ્મા વિધાનસભા માટે ખેડબ્રહ્મા મામલતદાર ઓફિસ, વિજયનગર મામલતદાર ઓફિસ, પોશીના મામલતદાર ઓફિસ, પ્રાંતિજ વિધાનસભા માટે પ્રાંતિજ તાલુકા સેવા સદન જન સેવા કેન્દ્ર અને તલોદ મામલતદાર ઓફિસ ખાતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રએ તમામ પાત્રતા ધરાવતા મતદારોને આ વિશેષ તકનો લાભ લેવા અનુરોધ કર્યો છે. વધુમાં, જે મતદારોના પોતાના કે તેમના માતા-પિતા અથવા દાદા-દાદીનું નામ વર્ષ 2002ની મતદાર યાદીમાં શોધી શકાયું નથી, તેવા મતદારોએ ઉપલબ્ધ વિગતો ભરીને સહીવાળું ફોર્મ, ગણતરી ફોર્મની પાછળ દર્શાવેલા પુરાવાઓ પૈકી કોઈ પણ એક પુરાવા સાથે તેમના BLO (બૂથ લેવલ ઓફિસર) ને જમા કરાવવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, ભારતના ચૂંટણીપંચ દ્વારા 01/01/2026 ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ 04/11/2025 થી 04/12/2025 સુધી ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત BLO દ્વારા ઘરે-ઘરે ફરીને ગણતરી ફોર્મ્સનું વિતરણ, પરત મેળવવાની અને ઓનલાઇન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
સ્ટંટબાજી કરવી ભારે પડી:SOGએ ચિત્રા GIDCમાં બાઇક સ્ટંટના વીડિયો અપલોડ કરનારા ઝડપાયા
ભાવનગર S.O.G.એ ચિત્રા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં જાહેર રસ્તા પર બાઇક સ્ટંટ કરી તેના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરનારા બે યુવાનો અને બે સગીરો સામે કાર્યવાહી કરી છે પોલીસે તેમના બે મોટરસાયકલ જપ્ત કર્યા છે. ભાવનગર રેન્જના આઇ.જી.પી. ગૌતમ પરમાર અને ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયે જિલ્લામાં S.O.G. શાખાને સોશિયલ મીડિયા પર ગુનાહિત પોસ્ટ અને વીડિયો સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ માટે ભાવનગર S.O.G. શાખામાં એક ડેડિકેટેડ સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમની રચના કરવામાં આવી છે. S.O.G. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.યુ. સુનેસરાના માર્ગદર્શન હેઠળ સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમના પોલીસ કોન્સ્ટેબલ મિનાજ ગોરીને ધ્યાનમાં આવ્યું કે, ચિત્રા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં કેટલાક યુવાનો મોડી રાત્રે જાહેર માર્ગો પર બાઇક પર વિવિધ સ્ટંટ કરી રહ્યા હતા. આ સ્ટંટના વીડિયો તેઓ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરતા હતા. આ માહિતીના આધારે, સમીર ખલીફા ઉ.વ.19, રહે.ચિત્રા જી.આઇ.ડી.સી, સકીલ સૈયદ ઉ.વ.20, રહે.ચિત્રા જી.આઇ.ડી.સી અને અન્ય બે સગીર યુવાનો વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે કુલ બે મોટરસાયકલ પણ જપ્ત કર્યા છે.
આગામી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિક 2036ને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરને સ્પોર્ટ્સ સીટી બનાવવા માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની તૈયારી રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. શહેરમાં કોમનવેલ્થ અને ઓલમ્પિકને લઈને 9 જેટલા નાના-મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવશે. કોમનવેલ્થ ગેમ્સ અને નાગરિકો વિવિધ રમતો રમી શકે તેના માટે હયાત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેનો નાગરિકો ઉપયોગ કરી શકે છે. નવા પ્લેગ્રાઉન્ડ, જિમ્નેશિયમ અને ટેનિસ કોર્ટ તૈયાર કરવામાં આવશેરૂ. 282 કરોડથી વધુના ખર્ચે નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યાં છે. રૂ .29.21 કરોડના ખર્ચે હયાત અને નવા 27 પ્લે ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવશે. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં 47 જેટલા જિમ્નેશિયમ કાર્યરત છે અને નવા 8 જિમ્નેશિયમ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં નવા 7 ટેનિસ કોર્ટ બનાવવામાં આવશે અને નવા 5 રીક્રીએશન સેન્ટર તૈયાર કરવામાં આવશે તથા 6 સ્કેટિંગ રીંક કાર્યરત છે. 824 કરોડના ખર્ચે નારણપુરામાં વિશ્વકક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયારસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વિઝનને અનુલક્ષીને તેમજ આગામી કોમનવેલ્થ અને ઓલમ્પિક ગેમ્સને લઈ અમદાવાદને સ્પોર્ટ્સ સિટી બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 824 કરોડના ખર્ચે નારણપુરામાં વિશ્વકક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું છે. શહેરમાં નિકોલ, રાણીપ, નરોડા- હંસપુરા, વટવા, ગોતા, સરખેજ અને નવરંગપુરા વિસ્તારમાં મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી ઊભું કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરીશહેરમાં વિવિધ રમત-ગમત માટે ખેલાડીઓ તૈયાર કરવા અને રમતગમતોમાં રસ ધરાવતા શહેરીજનોને સુવિધા પૂરી પાડવા માટે રૂ.29.21 કરોડના ખર્ચે હયાત અને નવા પ્લે ગ્રાઉન્ડ ડેવલપ કરવામાં આવશે. 27 જિમ્નેશિયમને અદ્યતન બનાવવા અને સ્પોર્ટ્સના સાધનો વસાવવા તેમજ નવા 8 જિમ બનાવવામાં આવી રહ્યા છે. કોમનવેલ્થ અને ઓલમ્પિકસ ને લઈને ખેલાડીઓ પ્રેક્ટિસ કરી શકે તેના માટે આ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી ઊભું કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને તમામ કામો ઝડપથી પૂર્ણ થાય તેના માટેની સૂચના પણ આપવામાં આવી છે.
સોમનાથમાં સરસ મેળાનું ઉદ્ઘાટન:27 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી સદભાવના ગ્રાઉન્ડ ખાતે આયોજન
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સદભાવના ગ્રાઉન્ડ ખાતે સરસ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબેન મૂછારના હસ્તે આ મેળાનો પ્રારંભ થયો હતો. આ મેળો 27 નવેમ્બરથી 6 ડિસેમ્બર, 2025 સુધી ચાલશે. આ મેળાનું આયોજન ગુજરાત લાઇવલિહુડ પ્રમોશન કંપની લિ. (ગ્રામ વિકાસ વિભાગ) અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે મંજૂલાબેન મૂછારે જણાવ્યું હતું કે, સરસ મેળો સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા સાથે મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થશે. મેળામાં સખી મંડળો અને કારીગરો દ્વારા તૈયાર કરાયેલા હસ્તકલા, હેન્ડલૂમ, વાંસની બનાવટ, મસાલા, ફૂડ પ્રોડક્ટ્સ, લેધર સામગ્રી અને પ્રાકૃતિક ખાદ્યપદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે. ઉદ્ઘાટન બાદ મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને સખી મંડળની બહેનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, ધારાસભ્ય ભગવાન બારડ, વિમલ ચુડાસમા, પૂર્વ મંત્રી જશા બારડ, અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, જિલ્લા પુરવઠા અધિકારી પારસ વાંદા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.
મુસાફરોની લાંબા સમયથી ચાલી આવતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ વડોદરા ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર ત્રણ ટ્રેનોને પ્રાયોગિક ધોરણે વધારાના સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય આગામી ડિસેમ્બર 2025 થી અમલમાં આવશે. ટ્રેન નં. 19019/19020 બાંદ્રા ટર્મિનસ-હરિદ્વાર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 10 ડિસેમ્બર2025થી ચાંપાનેર રોડ અને ખારસલિયા સ્ટેશનો પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવશે. ટ્રેન નંબર 19019 (બાંદ્રા ટર્મિનસ → હરિદ્વાર) ચાંપાનેર રોડ પર આગમન 07:18 થશે જ્યારે પ્રસ્થાન 07:19 વાગે થશે. આ સાથે ખારસલિયા સ્ટેશન પર આગમન 07:48 અને પ્રસ્થાન 07:49 થશે. ટ્રેનનંબર (હરિદ્વાર → બાંદ્રા ટર્મિનસ) ખારસલિયા સ્ટેશન પર આગમન 01:01, પ્રસ્થાન 01:02 થશે જ્યારે ચાંપાનેર રોડ પર આગમન 01:20, પ્રસ્થાન 01:21 વાગે થશે. ટ્રેન નં. 19418 અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ ટ્રેનને 1 ડિસેમ્બર, 2025થી બાજવા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવશે. જ્યાં બાજવા સ્ટેશન પર આગમન 02:27, પ્રસ્થાન 02:29 કલાકે થશે. રેલ્વે અધિકારીઓએ જણાવ્યું કે આ સ્ટોપેજ પ્રાયોગિક ધોરણે આપવામાં આવ્યા છે અને મુસાફરોના પ્રતિસાદ અને ઓક્યુપન્સીને આધારે તેને નિયમિત કરવા અંગે નિર્ણય લેવાશે. વધુ વિગતો અને અપડેટેડ સમયપત્રક માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in અથવા NTES એપની મુલાકાત લઈ શકે છે.
હડદડ ઘર્ષણ કેસમાં 28 આરોપીઓના જામીન મંજૂર:બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે શરતી જામીન આપ્યા
બોટાદના હડદડ ગામે ખેડૂત-પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ કેસમાં બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ૨૮ વ્યક્તિઓના જામીન મંજૂર કર્યા છે. આ નિર્ણય પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા શરતોને આધીન આપવામાં આવ્યો છે. આ ઘટના ગત 12 ઓક્ટોબરે બની હતી, જ્યારે કપાસના વેપારીઓ દ્વારા કડદો કરવામાં આવતો હોવાના મામલે હડદડ ગામે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપંચાયત દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘર્ષણને પગલે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા. આ મામલે પોલીસે કુલ 85 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો હતો, જેમાંથી 70 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં કુલ 36 વ્યક્તિઓએ બોટાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. તેમાંથી 28 અરજીઓ મંજૂર કરવામાં આવી છે, જ્યારે બાકીની અરજીઓ હાલ પેન્ડિંગ છે. અગાઉ, 6 વ્યક્તિઓને હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. આજના જામીન મંજૂર થયા બાદ હવે 36 વ્યક્તિઓ જેલમાં છે, જ્યારે 15 વ્યક્તિઓને પકડવાના બાકી છે. બોટાદના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા જે વ્યક્તિઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે તેમાં કમાભાઈ લવાભાઈ મેર, રાણાભાઇ દેસાભાઇ શેખ, હરેશભાઈ ઘનશ્યામભાઈ પરમાર, રમેશભાઈ રાજાભાઈ મુંધવા, હરજીભાઈ વેલજીભાઈ ઝાપડિયા, હમીરભાઇ કરશનભાઈ સાકરીયા, ગભરૂભાઈ ઝીણાભાઈ કરપડા, અશોકભાઈ મશરૂભાઈ મેર, વિજયભાઈ વજાભાઈ ધોરીયા, પીન્ટુભાઇ રણછોડભાઈ ભરાડીયા, કાળુભાઈ દલસુખભાઈ ધરજીયા, એભલભાઈ જેમાભાઈ વસાણી, દલસુખભાઈ ધનસુખભાઈ વસાણી, પ્રફુલભાઈ ભલાભાઇ શેખ, ધનાભાઈ ત્રિકમભાઈ મેર, રમેશભાઈ પશવાભાઈ મેર, ઘનશ્યામભાઈ જગુભાઈ શેખ, મંછારામ ભીખુલાલ દુધરેજીયા, સાગરભાઇ ભનાભાઈ ધરજીયા, ભાવેશભાઈ નરશીભાઈ તલસાણીયા, અરવિંદભાઈ કરમશીભાઈ મકવાણા, મેહુલભાઈ ઘુઘાભાઇ શેખ, ઇશ્વરભાઇ જાદવભાઈ શેખ, જયંતીભાઈ બીજલભાઇ કટુડીયા, ઘનશ્યામભાઈ ત્રિભુવનભાઈ પરાળીયા, જોરુભાઈ જગાભાઈ શેખ, નીતિનભાઈ મઘાભાઈ શેખ અને અરવિંદભાઈ ધાડવીનો સમાવેશ થાય છે.
વલસાડના સાંસદ ધવલ પટેલે ગુજરાત સરકારની ચિંતન શિબિર પર કોંગ્રેસ દ્વારા કરાયેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ ચૂંટણીઓ હારી ગઈ છે અને નિરાધાર આક્ષેપો કરીને રાજકીય જમીન શોધવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ભાજપની ચિંતન શિબિર ઉપર આક્ષેપ લગાવ્યા હતા. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ચિંતન શિબિરના નામે ખોટા ખર્ચા કરી રહી છે. સરકારે ચિંતન શિબરના બદલે રાજ્યના ખેડૂતોની વચ્ચે જવાની જરૂર છે. ત્યારે આ તમામ આક્ષેપોને ધવલ પટેલે પાયાવિહોણા ગણાવ્યાં છે. સાંસદ ધવલ પટેલે દાવો કર્યો કે, ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં 11 સફળ ચિંતન શિબિરો યોજી છે. આ શિબિરોમાં લોક ઉપયોગી યોજનાઓ અને કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેના પરિણામે ભાજપ દાયકાઓથી શાસન કરી રહ્યું છે. ધવલ પટેલે વધુમાં કહ્યું કે, કોંગ્રેસના નેતાઓથી ભાજપની સફળતા જોવાતી નથી. આથી, તેઓ ગુજરાત સરકારની ચિંતન શિબિર પર પ્રશ્નો ઉભા કરીને મતદારોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ગુજરાત અને દેશના મતદારો કોંગ્રેસની નીતિઓને ઓળખી ચૂક્યા છે. ધરમપુર ખાતે યોજાનારી ચિંતન શિબિર અંગે સાંસદ ધવલ પટેલે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, તેમાં વિવિધ વિકાસ કાર્યો, જાહેર સુવિધાઓ અને ભવિષ્યની યોજનાઓ અંગે વ્યાપક ચર્ચા થશે. તેમણે આશા વ્યક્ત કરી કે, આ ચર્ચાઓથી નવી યોજનાઓને ગતિ મળશે અને જિલ્લાનું સર્વાંગી વિકાસ કાર્ય વધુ મજબૂત બનશે. ધવલ પટેલના આ નિવેદનો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે. જોકે, કોંગ્રેસ તરફથી તેમના આક્ષેપો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ મળ્યો નથી.
રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં ચાર-ચાર અપઘાતની ઘટના સામે આવી છે. જેમાં એક સગીરા, એક યુવાન અને બે વૃદ્ધે આત્મહત્યા કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરાને જીજાજીએ ઠપકો આપતા માઠું લાગી જતાં ગળેફાંસો ખાઈ લીધો હતો. જ્યારે યુવકે માનસિક બીમારીથી કંટાળી ગળેફાંસો ખાધો હતો. જ્યારે એક વૃદ્ધે પત્નીના વિયોગમાં જ્યારે બીજા વૃદ્ધે બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ચારેય બનાવમાં મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ કિસ્સો: માઠું લાગી આવતા સગીરાએ ગળાફાંસો ખાધોચાંદની શેખરભાઈ ચૌહાણ (ઉ.વ.13) ગઈકાલે સાંજે 5 વાગ્યા આસપાસ પોતાના બહેન-બનેવીના ઘરે હતી. ત્યારે ગળેફાંસો ખાઈ લેતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ચાંદનીનો પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે. પિતા મુંબઇમાં ડ્રાઈવિંગ કામ કરે છે. 6 મહિના પહેલાં જ ચાંદની રાજકોટ પોતાની મોટી બહેન રીના અને બનેવી ધરમપાલ સાથે રહેવા આવી હતી. જોકે, ગઈકાલે બનેવી ધરમપાસે બહેન રીનાને રસોઈ સરખી બનાવવા ઠપકો આપ્યો હતો. જે બાબતે બહેન અને બનેવી વચ્ચે ઝઘડો થયો હતો. બનેવી ગાળો બોલતા હતા જેથી ચાંદનીએ બહેનને કહ્યું કે, જીજા કો બોલો ગાલી ના દે. આ બાબતે બનેવીએ ચાંદનીને પણ ઠપકો આપ્યો હતો. જેનું લાગી આવતા દુપટ્ટો ઝૂલાના હુકમાં બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે જાણ થતાં થારોળા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. બીજો કિસ્સો: માતા-પિતાએ એકના એક દીકરો ગુમાવ્યોકોઠારીયા મેઇન રોડ રણુજા મંદિર પહેલાં ગોકુલ પાર્ક શેરી નંબર 4મા રહેતા જયદીપ રતીભાઈ મહેતા (ઉ.વ. 35)એ ગઈકાલ રાત્રે 8 વાગ્યા આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારે આ અંગે 108ને જાણ કરતા ઇએમટી કમલેશભાઈ ઠાકોરે જોઈ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. ત્યાર બાદ આજીડેમ પોલીસ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. જયદીપ માનસિક રીતે અસ્વસ્થ હતો. તેના પિતા ગામડે રહે છે. પોતે અહીં રહી છૂટક કામ કરતો હતો. મૃતક જયદીપ માતા પિતાનો એકનો એક પુત્ર હતો. તેના આત્મઘાતી પગલાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ત્રીજો કિસ્સો: પત્નીના વિયોગમાં પતિનો આપઘાતજયંતીભાઇ પીતંબરભાઇ ધ્રાંગધરીયા (ઉ.વ.84)એ ગઈકાલે સાંજે 4:30 વાગ્યા આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. 108ના ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરતા રાજકોટ તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. તેમના પત્ની હયાત નથી. પત્નીના મોત બાદ તેઓ પત્નીના વિયોગમાં ગુમસુમ રહેતા હતા અને પત્નીના વિયોગમાં જ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું અનુમાન પરિવારજનો દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે હાલ મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ચોથો કિસ્સો: બીમારથી કંટાળી વૃદ્ધે ઝેરી દવા ગટગટાવીજમનભાઈ ગોબરભાઈ વેકરીયા (ઉં.વ.68)ના રોજ ગઈકાલે બપોરે 3 વાગ્યા આસપાસ પોતે પોતાના ઘરે હતા, ત્યારે ઝેરી દવા પી જતા તબીયત લથડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે જાણ થતા ભક્તિનગર પોલીસ ટીમે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જમનભાઈને સંતાનમાં 2 પુત્ર અને 1 પુત્રી છે. તેઓને ડાયાબિટીસ અને બ્લડ પ્રેસરની બીમારી હતી. જેના કારણે બીમારીથી કંટાળીને પગલું ભર્યું હોવાનું અનુમાન છે. હાલ પોલીસે ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને ખેરોજ પંથકમાં ગુરુવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. સવારે વાતાવરણમાં પલટા બાદ શરૂ થયેલો વરસાદ સાંજે ફરી વરસ્યો હતો. આના કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેરોજ, આગીયા, ચાંગોદ, બાવળકાંઠીયા, ઉંચી ધનાલ અને મટોડા સહિતના વિસ્તારોમાં સવારે 15 મિનિટ સુધી પવન સાથે વરસાદ પડ્યો હતો. ત્યારબાદ સાંજે પણ ખેરોજમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. આ કમોસમી વરસાદને કારણે ઘઉંનું વાવેતર કરવા માંગતા ખેડૂતોની ચિંતા વધી છે. હવામાન વિભાગની આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદની આગાહી છે, જેના કારણે આ વર્ષે શિયાળુ વાવેતર મોડું શરૂ થવાની શક્યતા છે. હાલ મોટાભાગના ખેડૂતો બટાકાના વાવેતરમાં વ્યસ્ત હોવાથી જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં પણ શિયાળુ પાકની વાવણી મોડી પડશે તેવું ખેડૂતોનું માનવું છે.
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી દર વર્ષે પોતાનો જન્મ દિવસ કાર્યકર્તાઓ સાથે ધામધૂમથી ઉજવતા હોય છે. આ વર્ષે પણ સોલામાં આવેલા એક પાર્ટી પ્લોટમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને ભરતસિંહ સોલંકીના સમર્થક હાજર રહ્યા હતા. જે દરમિયાન જાહેરમાં ભરતસિંહ સોલંકી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વખાણ કરતા જોવા મળ્યા હતા. જાહેરમંચ પરથી ભરતસિંહ સોલંકીએ આમ આદમી પાર્ટીને લઈને પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમજ પ્રદેશ કોંગ્રેસના નેતાઓને સંગઠનમાં રહેલી કચાસ દૂર કરવાની સલાહ આપી હતી. 26મી નવેમ્બરે ભરતસિંહે કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે જન્મદિવસની ઉજવણી કરીબુધવારે 26 નવેમ્બરે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના જન્મ દિવસ નિમિત્તે અમદાવાદમાં સોલામાં આવેલા એક ફાર્મમાં પરિવાર સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પહેલા કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન બહાર ભરતસિંહ સોલંકીના સમર્થકોએ પોસ્ટર લગાવ્યા હતા. સતત દોડતા, સહુને જોડતાના સ્લોગન સાથે સમર્થકોએ જન્મદિવસની શુભેચ્છાઓ આપતા પોસ્ટર લગાવ્યા હતા. જ્યારે બુધવારે યોજાયેલા પરિવાર સંગમ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ ભરતસિંહ સોલંકીને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસ કાર્યકર્તાઓનો જુસ્સો વધારવા PM મોદીની સફળતાનું ઉદાહરણ આપ્યુંજન્મ દિવસની ઉજવણી કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના સુર બદલાયેલા જોવા મળ્યા હતા. જાહેર મંચ પર ભરતસિંહ સોલંકીના સુર બદલાયા અન્ય કોંગ્રેસના નેતાઓ પણ ચોંકી ગયા હતા. કારણ કે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ જાહેર મંચ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જોડીના વખાણ કર્યા હતા. શું આપણે 15 વર્ષ સત્તા માટે રાહ જોઈ શકીશું?- ભરતસિંહજાહેર મંચ પરથી PM મોદીના વખાણ કરતા ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, રાજકારણ એકમાત્ર બુદ્ધિનો વિષય છે, ગણિતનો વિષય છે. ગમા અને અણગમાનો પણ વિષય નથી તે માત્ર તાકાત અને શક્તિનો વિષય છે. પ્રધાનમંત્રી મોદી કહ્યું હતું કે 15 વર્ષ સુધી તમારી કોંગ્રેસને નહીં આવવા દઉં અને તે વાત સાચી પડી. તેમણે કહ્યું હતું કે માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી નાખીશું, તે વાત પણ સાચી પડી છે. અત્યારે અમિત શાહ એવું કહે છે કે 15 વર્ષ સુધી દેશમાં ભાજપની જ સરકાર આવશે. તો શું 15 વર્ષ સુધી આપણે સત્તા માટે રાહ જોઈ શકીશું? કારણ કે આતો એમને પ્રૂફ કરેલા દાખલ છે. આપના વધતા પ્રભાવનું ઉદાહરણ આપી કહ્યું- આપણામાં રહેલી કચાર દૂર કરવી પડશેઆમ આદમી પાર્ટીને લઈને ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી લુપ્ત થાય તો ભાજપને કોંગ્રેસ સીધે સીધી હરાવી દે કે ન હરાવી શકે ? આનો વિચાર કરજો. પ્રજા ભાજપથી કંટાળી છે, બિહારમાં પણ કંટાળી ગઈ હતી, પરંતુ EVM અને મતદારોના ગોટાળો કરીને ચૂંટણી જીતવામાં આવી છે. ભાજપ વિરોધી શક્તિ ઓછી કરી કોંગ્રેસમાં તેનું જોડાણ કરવાનું છે. આમ આદમી પાર્ટીના માણસો કોંગ્રેસી છે અને તેને વિશ્વાસ નથી આવતો કે આ કોંગ્રેસ જીતશે કે કેમ ? તેની સરકાર આવશે કે કેમ ? પરંતુ આમ આદમી પાર્ટીની પણ કયા સરકાર આવવાની છે. જેની સરકાર જ નથી આવવાની તેની સાથે જો નવી પેઢી જોડાતી હોય તો આપણામાં કોઈ કચાસ રહી ગઈ છે અને તે આપડે દૂર કરવી પડશે.
એક તરફ ગુજરાત સરકાર શિક્ષણના પ્રચાર-પ્રસાર અને ગુણવત્તા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના સામે આવી છે. માળીયા હાટીના તાલુકાના ગડુ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસના ધામમાં જ વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાનો એક વીડિયો વાઇરલ થતાં સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. વાઇરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, શાળામાં અભ્યાસ કરતા નાના વિદ્યાર્થીઓ તેમના ગણવેશમાં બાંધકામનો સામાન, જેમ કે ઈંટો અને અન્ય સામગ્રી ઉપાડી રહ્યા છે અને શાળાના મેદાનની સફાઈનું કામ પણ કરી રહ્યા છે. શાળામાં બાંધકામ ચાલી રહ્યું હોવા છતાં બાળકોને શિક્ષણ આપવાના બદલે તેમની પાસે આ પ્રકારનું જોખમી મજૂરી કામ કરાવવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો થયા છે. ઉપસરપંચે આચાર્ય મનીષ વાઢિયા સામે ગંભીર આક્ષેપો કર્યાઆ સમગ્ર ઘટના અંગે ગડુ ગામના ઉપસરપંચ રાજેશ પરમારે શાળાના આચાર્ય મનીષ વાઢિયા સામે આકરા પ્રહાર કર્યા છે. ઉપસરપંચના જણાવ્યા અનુસાર, આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓ પાસે બળજબરીપૂર્વક આ પ્રકારનું ગેરકાયદેસર કામ કરાવવામાં આવે છે. અભ્યાસના સમયમાં બાળકને શિક્ષણ આપવાને બદલે તેમની પાસે બાંધકામનો સામાન ઉપડાવવો અને ગ્રાઉન્ડ સાફ કરાવવું એ કાયદાની વિરુદ્ધ છે. અભ્યાસ કરવા આવતા બાળકો પાસે મજૂરી કરાવવી એ એક પ્રકારનો બાળશ્રમ જ ગણાય. અનેક વાલીઓએ મને વ્યક્તિગત રીતે ફરિયાદ કરી છે કે, તેમના બાળકોને શાળામાં મજૂરી કરવા માટે દબાણ કરવામાં આવે છે. વાલીઓએ ફરિયાદ કરતા આચાર્યએ ધમકીઓ આપ્યાનો આક્ષેપસ્થાનિકો અને વાલીઓ દ્વારા આચાર્ય મનીષ વાઢિયાને અનેક વખત આ મામલે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આચાર્ય પોતાની પ્રવૃત્તિઓ બંધ કરવાના બદલે ઉલટાનું ધમકીઓ આપતા હોવાનો ગંભીર આરોપ પણ ઉપસરપંચે મૂક્યો છે. આચાર્યની દાદાગીરીના કારણે શિક્ષણનું વાતાવરણ ડહોળાયું છે. આચાર્ય સામે કાર્યવાહી ન થાય તો અનશન પર ઉતરવાની ઉપસરપંચની ચીમકીશાળાના આચાર્યની આ બેજવાબદાર અને કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ સામે ઉપસરપંચ રાજેશ પરમારે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માગ કરી છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો આવનારા દિવસોમાં આચાર્ય મનીષ વાઢિયા સામે કોઈ કડક શિક્ષણાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે અને તેમને પદ પરથી દૂર કરવામાં નહીં આવે, તો તેઓ પોતે અનશન પર ઉતરશે. તેમની માંગણી છે કે, આ મામલે માત્ર સ્થાનિક સ્તરે નહીં, પરંતુ ઉચ્ચ શિક્ષણ અધિકારીઓ દ્વારા અને જિલ્લા કક્ષાએ એક નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે. સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવાની ઘટના બાળ અધિકારોનું ઘોર ઉલ્લંઘન છે અને શિક્ષણ વિભાગના નિયમોનો સરેઆમ ભંગ છે. સફાઈ કર્મચારીની ગેરહાજરીના કારણે બાળકો પાસે સફાઈ કરાવીઃ આચાર્યગડુ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય મનીષ વાઢીયાએ દિવ્ય ભાસ્કર સાથે વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવાના આક્ષેપો અંગે ખુલાસો આપતા કહ્યું કે, અમારી સ્કૂલમાં સફાઈ કરવા આવતા સફાઈ કર્મચારી છેલ્લા એક અઠવાડિયાથી સફાઈ કરવા આવ્યા ન હતા, જેના કારણે સ્કૂલના પટાંગણમાં મોટો કચરો ભેગો થઈ ગયો હતો. આચાર્યએ લુલ્લો બચાવ કરતા કહ્યું કે, પટાંગણમાં એક અઠવાડિયાનો કચરો ભેગો થવાને કારણે અન્ય વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચે કે સ્વાથ્ય ન બગડે તે હેતુથી મેં છથી સાત વિદ્યાર્થીઓને આ સફાઈ કામમાં મદદ માટે સાથે લીધા હતા. બાળકો સાથે રહીને આ સફાઈ કરાવવામાં આવી હતી. અમે જ્યારે આ સફાઈનું કામ કરી રહ્યા હતા, ત્યારે જ ગામના ઉપસરપંચ અને અન્ય લોકોએ આ વીડિયો બનાવ્યો હતો. જોકે, આચાર્યએ કબૂલાત કરી હતી કે સફાઈ કર્મચારી છેલ્લા આઠ દિવસથી શાળામાં સફાઈ કરવા માટે આવતો ન હતો, પરંતુ આ મામલે મેં શિક્ષણ વિભાગને કોઈ જાણ કરી નથી. જિલ્લા શિક્ષણ અધિકારીએ કોલ રિસીવ ન કર્યોઆટલી ગંભીર ઘટના બાદ પણ જિલ્લા કક્ષાના જવાબદાર અધિકારીનો પ્રતિભાવ લેવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયને વારંવાર કોલ કરવા છતાં, તેમણે એક પણ કોલ રિસીવ કર્યો નહોતો. જિલ્લા શિક્ષણ અધિકારીનું આ પ્રકારનું બેજવાબદાર મૌન દર્શાવે છે કે, તેઓ પણ આ ગંભીર મામલે કોઈપણ પ્રકારની જવાબદારી લેવા તૈયાર નથી કે શું? શિક્ષણ જગતને શરમાવે તેવી આ ઘટનામાં જિલ્લા શિક્ષણ અધિકારી બંનેનું મૌન, સમગ્ર વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારી તરફ ઈશારો કરે છે. રાજ્ય સરકારની શિક્ષણ સુધારણાની તમામ વાતો અને કરોડોના ખર્ચ પાછળ આ પ્રકારની ઘટનાઓ કાળો ડાઘ લગાવી રહી છે.
રાજકોટ સમાચાર:રાજકોટની ઝનાના હોસ્પિટલમાં લાદીઓ ઉખડી ગઈ! RMOએ કહ્યું- કોઈ મોટું નુકસાન થયું નથી
રાજકોટમાં રૂ. 120 કરોડના ખર્ચે કોર્પોરેટ સ્ટાઈલમાં તૈયાર થયેલી 11 માળની ઝનાના હોસ્પિટલનું ખુદ PM મોદીના હસ્તે લોકાર્પણ થયું હતું. જોકે આ હોસ્પિટલમાં બાંધકામ સંબંધિત સમસ્યાઓ અવારનવાર સામે આવી રહી છે. હોસ્પિટલના લોકાર્પણને હજી બે વર્ષ પણ પૂરા થયા નથી ત્યાં જ તેના જુદા જુદા ફ્લોર પર લાદીઓ ઉખડવા લાગી હોવાનું જાણવા મળ્યું છે, જેના પગલે હાલ હોસ્પિટલમાં સમારકામની કામગીરી ચાલી રહી છે.આ ઉપરાંત, કરોડોનો ખર્ચ કર્યા બાદ હવે હોસ્પિટલના બહુમાળી બિલ્ડીંગની બાજુમાં મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. જે સરકારી તિજોરી પર વધુ એક નવો ખર્ચ લાવશે. જોકે, પાર્કિંગ બનાવવાની કામગીરીને કારણે હાલ ડ્રિલ મશીન, ટ્રક અને જેસીબીની અવરજવરથી દર્દીઓને ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આ બાબતે દિવ્યભાસ્કર સાથે કરેલી ટેલીફોનિક વાતચીતમાં RMO ડોકટર હર્ષદ દૂસરાએ જણાવ્યું હતું કે, આ હોસ્પિટલમાં પાર્કિંગ મોટું કરવાની જરૂરિયાત હોવાથી કામગીરી ચાલી રહી છે, જેમાં પણ દર્દીઓને ઓછી મુશ્કેલી થાય તેનું ધ્યાન રખાય છે. જો કે, તેમણે લાદીઓ તૂટવા બાબતે જણાવ્યું હતું કે, માત્ર એર આવવાને કારણે અમુક લાદીઓ ઉખડી હતી. ખાસ કોઈ મોટું નુકસાન થયું હોવાનો તેમણે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર-કચ્છના મેટર્નલ અને બાળ દર્દીઓ માટે કુલ 700 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલના બાંધકામમાં અગાઉ ઇમરજન્સી માટે સીડી મુકવાનું ભુલાઈ ગયું હતું. તેમજ ઓપરેશન થિયેટરમાં પાણી પડવાની સમસ્યા પણ સામે આવી ચુકી છે. નવા રિંગ રોડના બ્રિજમાંથી સળિયા કાઢી લેવાયાનો આરોપ, મનપાના સિટી ઈજનેરે આક્ષેપો ફગાવ્યા રાજકોટ મનપા અને રૂડા દ્વારા રીંગ રોડ-2 ફોર લેન બનાવવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. મુંજકા ગામ પાસે ચાલુ બ્રિજના કામ દરમિયાન સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો હતો કે, કોન્ટ્રાક્ટરના માણસો સેન્ટ્રિંગ ભરતી વખતે બ્રિજમાંથી સળિયા કાઢી રહ્યા છે. તેમજ કામનો વિરોધ કરીને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને સ્થળ પર બોલાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે બ્રિજનું લોખંડનું માળખું ચેક થયા બાદ નિયમ મુજબ સળિયાની ગણતરી કરીને સેન્ટ્રિંગ ભરવાનું હોય છે, આ સમયે સળિયા કાઢી લેવાતા કામ નબળું થવાની શક્યતા છે. સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર અને મનપાના અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠ હોવાનો પણ આક્ષેપ તેઓએ કર્યો હતો. જોકે આ મુદ્દે મનપાનાં સિટી ઈજનેર કુંતેશ મહેતાએ દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સમયે હું સ્થળ પર હાજર હતો. એ લોકો દ્વારા સેમ્પલ લેવા છે તેવું કહેવામાં આવતા અમે મંજૂરી હોય તો સેમ્પલ લેવા દઇએ તેવું કહ્યું હતું. જેને લઈને સળીયા કાઢી લેવામાં આવતા હોવાનો અને કામ નબળું થતુ હોવાના આક્ષેપો કર્યા છે. આ પ્રકારના મોટાકામ થતા હોય ત્યારે અમે સતત દેખરેખ રાખીએ જ છીએ. આ કામમાં કોઇપણ કૌભાંડ થયું નથી. તેમજ બ્રિજ સહિતના કામ દરમિયાન મારા સહિતનો સ્ટાફ સતત કામ ઉપર નજર રાખી રહ્યો છે. મનપાએ બાકીવેરો વસૂલવા 1.50 લાખ બિલ મોકલ્યા, 50,000થી વધુને નહીં મળતા રૂબરૂ તપાસ કરવા ટીમો દોડાવાશે રાજકોટ મહાનગરપાલિકાની વેરા શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં 470 કરોડના આવક લક્ષ્યાંકને હાંસલ કરવાના પ્રયાસો વચ્ચે એક મોટો ખુલાસો થયો છે. ટેક્સ વિભાગે 1.50 લાખ બાકીદારોને સ્પીડ પોસ્ટથી મોકલેલા વેરા બિલ પૈકી 50,000 જેટલા બિલ પરત આવ્યા છે. આ આંકડો મોકલાયેલા બિલના લગભગ 33 % જેટલો છે. બિલ પરત આવવાનું મુખ્ય કારણ છે કે આ મિલકતો પર આસામીઓ હાજર નથી અથવા જૂના મિલકત ધારકો સ્થળાંતર કરી ગયા છે અને નવા ખરીદનારાઓએ વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરાવ્યું નથી. આ બાકીદારોનો ઓનલાઈન પણ પત્તો મળી રહ્યો નથી. ત્યારે હવે પરત આવેલા બિલના સ્થળોની સ્થળ તપાસ કરવા માટે વોર્ડ ઓફિસરોની ટીમને દોડાવવામાં આવનાર છે. આ ટીમો મિલકતની ખરાઈ કરશે તેમજ નામ ટ્રાન્સફરની પ્રક્રિયા પણ ચકાસશે. ટેક્સ વિભાગે બાકીદારોને સમયસર વેરો ભરપાઈ કરવા અપીલ કરી છે. રાજકોટ-મહબૂબનગર અને ઓખા-મદુરાઈ સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ – મહબૂબનગર અને ઓખા – મદુરાઈ સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા છે. ટ્રેન નંબર 09575 અને 09520 ના લંબાવવામાં આવેલા ફેરા માટેનું બુકિંગ 29 નવેમ્બરથી તમામ પીઆરએસ કાઉન્ટરો અને IRCTCની વેબસાઈટ પર શરૂ થશે. 1) ટ્રેન નંબર 09575/09576 રાજકોટ-મહબૂબનગર (સાપ્તાહિક) સ્પેશિયલ ટ્રેન નંબર 09575 રાજકોટ – મહબૂબનગર સ્પેશિયલના ફેરાને 29 ડિસેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવ્યા છે.એ જ રીતે, ટ્રેન નંબર 09576 મહબૂબનગર – રાજકોટ સ્પેશિયલના ફેરા 30 ડિસેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવ્યા છે. 2) ટ્રેન નં. 09520/09519 ઓખા-મદુરાઈ (સાપ્તાહિક) સ્પેશિયલટ્રેન નંબર 09520 ઓખા-મદુરાઈ સ્પેશિયલના ફેરાને 29 ડિસેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવ્યા છે. એ રીતે, ટ્રેન નંબર 09519 મદુરાઈ – ઓખા સ્પેશિયલના ફેરાને 02 જાન્યુઆરી, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે.
પોલીસ બેડામાં આંતરિક ફેરબદલી:ભાવનગરના 8 PI, 17 PSI ની આંતરિક બદલી કરાઈ
ભાવનગર જિલ્લાના પોલીસ તંત્રમાં વહીવટી સરળતા અને કાર્યક્ષમતા વધારવાના હેતુથી પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે, જેમાં આજરોજ ત્રણ જુદા-જુદા હુકમોમાં 8 પીઆઈ અને 17 જેટલા બિન હથિયારધારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) સહિત કુલ 25 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓના આંતરિક બદલી કરવામાં આવી છે, ભાવનગર એસપી નિતેશ પાંડેય દ્વારા આજરોજ 8 જેટલા પીઆઈની આંતરીક બદલી કરવામાં આવી છે જેમાં એચ.જી.ભરવાડ રીડર શાખા માંથી નિલમબાગ પો.સ્ટે, બી.ડી.ઝાલા નિલમબાગ પો.સ્ટે માંથી લીવ રીઝર્વ, એચ.બી.ચૌહાણ વલ્લભીપુર પો.સ્ટે માંથી બોરતળાવ પો.સ્ટે, એન.કે.ડાભી બોરતળાવ પો.સ્ટે માંથી લીવ રીઝર્વ, વી.કે.મકવાણા ગંગાજળીયા પો.સ્ટે માંથી વલ્લભીપુર પો.સ્ટે, કે.કે.રાઠોડ લીવ રીઝર્વ સેકન્ડ પો.ઈ નિલમબાગ પો.સ્ટે એટેચના ધોરણે, એસ.વી.શિમ્પી લીવ રીઝર્વ માંથી સેકન્ડ પો.ઈ બોરતળાવ પો.સ્ટે એટેચના ધોરણે તથા પી.એલ.ધામા લીવ રીઝર્વ માંથી સેકન્ડ પો.ઈ ઘોઘારોડ પો.સ્ટે એટેચના ધોરણે આંતરિક બદલી કરવામાં આવી છે, આ બદલીઓમાં મુખ્યત્વે 17 જેટલા PSI કક્ષાના અધિકારીઓનો જિલ્લામાં ફેરબદલી કરવામાં આવી છે, જેમને જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો અને લિવ રિઝર્વ વચ્ચે ફેરવવામાં આવ્યા છે. આ ઉપરાંત હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલની પણ અરસપરસ બદલી કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક કચેરી દ્વારા સંબંધિત તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવા અને તેનો રિપોર્ટ મોકલવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ બદલીના પગલાથી જિલ્લા પોલીસ વહીવટમાં સંતુલન જળવાશે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે.
ભારત દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદ અને પ્રથમ સ્થાન મળ્યું છે, ત્યારે શહેરમાં જાહેર રોડ ઉપર ગંદકી, પાન-મસાલા ખાઈને થુકનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા લોકો વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. શહેરના વિવિધ વિસ્તારોમાં એક જ દિવસમાં જાહેર રોડ પર ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર 30 દુકાનો સીલ કરી છે. 1095 નોટિસ આપી રૂપિયા 4.78 લાખ દંડ વસૂલ કરાયોસ્વચ્છતા સ્ક્વોડની ટીમ દ્વારા સફાઈ-સેનીટેશનને લગતી 726 નોટિસ અને પ્રતિબંધીત પ્લાસ્ટિક અમલવારી અંગેની 369 સહિત કુલ 1095 નોટિસ આપી કુલ રૂપિયા 4.78 લાખ દંડ વસૂલ કરવામાં આવ્યો છે અને 22.8 કિ.ગ્રા. જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો છે. શહેરના 10,520 સફાઈ કર્મચારીઓ દ્વારા મુખ્ય રસ્તાઓની સફાઈની કામગીરી આજે 27 નવેમ્બરના રોજ સવારે કરવામાં આવી હતી. બપોર બાદ ટોળાં સફાઈ કામગીરીમાં શહેરમાં ફૂટપાથ સાઈડો પરનાં ઇલેક્ટ્રીક ડી.પી.. ટ્રાન્સફોર્મર અને ટેલિફોન ટાવરની પાછળની સાઇડોમાં પડી રહેલા કચરાને દૂર કરવાની કામગીરી કરાવવામાં આવી હતી. શહેરમાં 1815 જેટલા ડોર ટુ ડોર વાહનો દ્વારા શહેરનાં તમામ રહેણાક અને વાણિજયક એકમોનાં 43,000થી વધારે જગ્યાએથી કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. સીલ કરવામાં આવેલા એકમોસહજાનંદ વેજીટેબલ, નિજાનંદ પાર્કની સામે, કર્ણાવતી રોડ, વસ્ત્રાલ, ભગીરથ એસ્ટેટની બાજુમાં અમરાઈવાડી, આશાપુરા ટી સ્ટોલ કેવલ કાટા રોડ અમરાઈવાડી, જય અંબે ટી સ્ટોલ કેવલ કાટા રોડ અમરાઈવાડી, શુંપાસવા સ્ટીલ મદ્રાસી રોડ ઓઢવ, ભૂમિ હેર કટિંગ 80 ફુટ રોડ ઓપોઝિટ ગૌતમ ફ્લેટ્સ, શ્રી ખોડીયાર ઓટો સર્વિસ તુલસી ગુજરાતી થાળીની બાજુમાં મંગલ પાંડે રોડ, દુકાનનું નામ નથી શિતલ સિનેમા રોડ ગોમતીપુર, ટ્વીન્સ આઈસ શુકન ચોકડી રોડ નિકોલ, નીરવ એલ્યુમિનિયમ, આર.બી. એજન્સી શ્યામ શિખર, સિલાઈ મશીનરી, રતનબા રોડ, ક્રિષ્ના સ્ટોર અને બંધ દુકાન 132 ફુટ રોડ, મંગલદીપ લેડીસ ટેલર્સ - કૃષ્ણકુંજ સોસાયટીની બાજુમાં, મીર સર્કલ રોડ, જય ચામુંડા ફેશન-નારોલ સબ ઝોનલ પાછળ, કુત્બી ગ્લાસ હાઉસ-નારોલ વટવા ટર્નિગ રોડ, અસલમ આમલેટ, અવિનાશ ટ્રેડર્સ, એક્સાઇડ કેર, icicl bank, એપોલો મેટલ ઇન્ડસ્ટ્રીઝ, અંકિત મોટર્સ મેનરવા હોલ રોડ ઘાટલોડીયા, ગ્વાલિયા બક્લાવા, શિલ્પ અરોન SBR બોડકદેવ, R K પાર્ટી પ્લોટ જોયસ કેમ્પસ સ્કુલ રોડ બોડકદેવ અને ધ વ્હાઈટ કરોન બી બ્લોક પાર્ક બોડકદેવ
વડોદરા શહેરમાં ભાડાના મકાનમાં રહેવા આવેલા મહારાજે વિધિ કરવાના બહાને મકાન માલિકના યુવકના લગ્ન થતા ન હોય તેમને ગ્રહ નડે છે, તેમ કહીને વિધિ કરવી પડશે તેમ કહ્યું હતું. ત્યારબાદ યુવક પાસેથી 3.60 લાખના દાગીના લીધા હતા અને 1 લાખમાં ગીરવી મૂકી દીધા હતા. આ ઉપરાંત અન્ય બે લોકોને તાંત્રિક વિધિ કરવાનું કહી રૂ.2.30 લાખના દાગીના લઈ સોની પાસે ગીરવી મૂકી દીધા હતા અને કુલ 5.90 લાખના દાગીના અને રોકડા પરત નહીં આપતા મહારાજ વિરુદ્ધ ઠગાઈની વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીને ઘર ભાડે આપવાનું હોવાથી પાડોશી સાથે વાત થઈવડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી રાધે રત્નમ સોસાયટીમાં રહેતા કૃમિલ ભરતકુમાર ગાંધી ફરિયાદ નોંધાવી છે કે, મારું બીજું મકાન હરણી રોડ પર વિજયનગર સોસાયટી આવેલું છે, જે મકાન ભાડે આપવાનું હતું. અમારા પડોશમાં રહેતા કૌશલભાઈ ચોક્સીએ મને ફોન કરી એક પતિ-પત્ની ભાડેથી ઘર શોધે છે, તમારૂ મકાન ખાલી છે તે મકાન તમારે ભાડે આપવું હોય તો તમે તેમને મળી શકો છો તેમ જણાવ્યુ હતું. જેથી હું બીજા દીવસે અમારૂં વિજયનગરના મકાન પર પિતા ભરતકુમાર ગાંધી સાથે ગયો હતો. આરોપી સાથે વાત બાદ ભાડું નક્કી થયુંમકાન પર જઈને મકાન ભાડેથી લેવા ઈચ્છા ધરાવતા હિતેષભાઈ યાજ્ઞીક ઉર્ફે ઘનશ્યામ મહારાજને મળવા બોલાવ્યા હતા. જેથી તેઓ ત્યાં આવતા મકાનની ડિપોઝિટ બાબતે વાત કરી હતી. હિતેષભાઈ મકાન ભાડેથી લેવા સહમત થયા હતા અને મકાનનું માસીક ભાડુ રૂપિયા 5300 નક્કી કર્યું હતું. જેથી 10 માર્ચ, 2024થી રહેવા આવ્યા હતા. તેઓ તેમની પત્ની સાથે આ મકાનમાં ભાડેથી રહેતા હતા. ફરિયાદીના લગ્ન ન થતાં આરોપીએ વિધિ કરવા કહ્યુંઅમારે તેઓ સાથે અવારનવાર ફોનથી વાતચીત થતી હતી. વાતચીત દરમિયાન મારે લગ્ન કરવાના હોય લગ્ન બાબતે પણ હિતેષભાઈ યાજ્ઞીક ઉર્ફે ઘનશ્યામ મહારાજ સાથે વાતો થતી હતી. ગત 1 જુલાઇના રાત્રિના રોજ ફોન કરી તમારા લગ્નમાં ગ્રહો નડે છે, જેથી તમારા લગ્ન નક્કી થતા નથી, તેમ કહેતા મેં તેઓને ગ્રહો દુર કરવા માટે ઉપાય પૂછતા તેઓને ગ્રહ દુર કરવા માટે તમારા ઘરમાં રહેલા સોનાના દાગીનાની વિધિવત પૂજા કરવાથી ગ્રહો દુર થશે. વિધી કરવા માટે તમારે મને તમારા દાગીના આપવા પડશે, તેમ કહેતા મેં મારી માતા સાથે વાત કરી હતી. ફરિયાદીએ દાગીના વિધિ માટે આરોપીને આપ્યાં2 જુલાઈના રોજ વિજયનગર ખાતે હિતેષ યાજ્ઞીકને મળવા ગયો હતો અને તેઓને મારી 1 સોનાની વીંટી, 1 સોનાની ચેઇન બન્નેનું વજન આશરે કિંમત 2.50 લાખના દાગીના મેં વીધી કરવા માટે આરોપી હિતેષ ઉર્ફે ઘનશ્યામ મહારાજને આપતા ત્યારે તેઓએ વિધિ કરીને 10 દિવસમાં દાગીના પરત આપવાની વાત મને કરી હતી. ઉપરાંત તે સિવાય મારા ક્રેડિટ કાર્ડ પર ફ્રીજ રૂ.40 હજાર, 40 હજારનું એસી તથા રોકડ રૂપિયા 30 હજાર મળી લીધા હતા. પરંતુ એસી, ફ્રીઝ અને રોકડા રૂપિયા અને વિધી માટે આપેલા સોનાના દાગીના મળી રૂ 3.60 લાખની મતા પરત હિતેષ યાજ્ઞીક ઉર્ફે ઘનશ્યામ મહારાજે આપ્યા નથી. અમે અમદાવાદ ખાતે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં મળવા ગયા હતા, ત્યાં તેઓની પૂછપરછ દરમ્યાન આ મારા દાગીના રૂપિયા 1 લાખમાં સોની તપન નવીનચંદ્ર શાહ પાસે ગીરવે મુકેલ હોવાનું અમને જણાવ્યુ છે. અન્ય લોકો પણ વિધિના નામે છેતરપિંડીનો ભોગ બન્યાંઆ ઉપરાંત વિજયનગરમાં રહેતા રમેશભાઈ બાબુભાઈ સોનીના ઘરે નવચંડી યજ્ઞનું આયોજન કર્યું હતું. રમેશભાઈ બાબુભાઈ સોની હેન્ડીકેપ હોવાથી તેઓની માનસિક સ્થિતી સારી રહેતી ન હોવાથી તેઓની માનસિક શાંતી તથા ગ્રહો સુધારવા માટે વિધિ કરવા માટે હિતેષ યાજ્ઞિક રમેશભાઈ સોનીના ઘરે જઈ સોનાના દાગીના આપો, આ દાગીના 27 દિવસની વીધી કર્યા બાદ પરત આપીશ તેમ કહ્યું હતું. જેથી રમેશભાઈ સોની પાસેથી રૂ.1.90 લાખના સોનાના દાગીના લીધા હતા. 27 દિવસ બાદ પણ રમેશભાઈ સોનીને દાગીના પરત આપ્યા ન હતા. આ દાગીના આરોપી હિતેષ યાજ્ઞિકે સોની તપન નવીનચંદ્ર શાહ પાસે રૂ.35 હજારમાં ગીરવે મુકેલા હોવાનું જણાવ્યું છે. તેવી જ રીતે આશિષભાઈ પ્રવિણભાઈ પરમારના ઘરે જઈ પોતે તાંત્રિક વિધિ કરે છે. તમારા ધંધામાં વધારો અને પ્રગતી કરવી હોય તો તમારે વિધિ કરાવવી પડશે, તેમ કહી તેમની પાસેથી રૂ.40 હજારની વીંટી સોની તપન નવીનચંદ્ર શાહ પાસે ગીરવે મુકી હતી. આ મામલે વારસિયા પોલીસે હિતેષભાઈ યાજ્ઞીક ઉર્ફે ઘનશ્યામ મહારાજ અને તપન નવીનચંદ્ર શાહ સામે પોલીસ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠા SOGએ હિંમતનગરના કાટવાડ રોડ પરથી ચોરીના ગુનામાં નાસતા ફરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ શખ્સો અમદાવાદ શહેરના બાપુનગર, માધુપુરા અને હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષ અગાઉ નોંધાયેલા ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હતા. SOGના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બુધવારે તેમને બાતમી મળી હતી કે વિદ્યાનગરીથી કાટવાડ રોડ પર અવરજવર કરતા મયુર ઈશ્વરભાઈ ભાટ અને શનિ શિવરામ બારોટ વિરુદ્ધ વર્ષ 2022માં ચોરીના ગુના નોંધાયા હતા અને તેઓ નાસતા ફરતા હતા. આ બાતમીના આધારે SOG સ્ટાફે બંને શખ્સોને અટકાયતમાં લીધા હતા. પૂછપરછ દરમિયાન તેમની ઓળખ મયુર ઈશ્વરભાઈ ભાટ (રહે. હરીનગર, કાટવાડ રોડ, હિંમતનગર) અને શનિ શિવરામ બારોટ તરીકે થઈ હતી. પોલીસે તેમનો ગુનાહિત ઇતિહાસ તપાસતા જાણવા મળ્યું કે પકડાયેલા મયુર અને શનિ અમદાવાદ તથા હિંમતનગરમાં થયેલી વિવિધ ચોરીઓમાં સંડોવાયેલા હોવા છતાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદો બાદ પણ તેઓ ફરાર હતા. SOGએ બંનેને ઝડપી પાડી વધુ તપાસ માટે હિંમતનગર બી-ડિવિઝન પોલીસને સોંપ્યા છે.
મધ્યપ્રદેશના IAS અધિકારીની ટિપ્પણી સામે ગુજરાતમાં રોષ:પોલીસ ફરિયાદ અને નોકરીમાંથી બરતરફ કરવાની માંગ
મધ્યપ્રદેશના IAS અધિકારી સંતોષ વર્મા દ્વારા બ્રહ્મસમાજ વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતમાં પડ્યા છે. આ નિવેદનથી સમગ્ર ગુજરાતના બ્રાહ્મણ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પ્રમુખ શૈલેશ ઠાકરે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે, આવી મનોવૃત્તિ ધરાવતા અધિકારીઓ સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનું કામ કરી રહ્યા છે. આ મામલે આગામી રણનીતિ સ્પષ્ટ કરતા શૈલેશ ઠાકરે જણાવ્યું હતું કે, બ્રહ્મસમાજ દ્વારા કાયદાકીય પરામર્શ કરીને ટૂંક સમયમાં જ જવાબદાર અધિકારી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત, મધ્યપ્રદેશ સરકારને રજૂઆત કરી આ અધિકારીને તાત્કાલિક નોકરીમાંથી બરતરફ કરવાની માંગણી કરાશે. વિરોધને વધુ વેગ આપવા માટે રાજ્યના દરેક જિલ્લા અને તાલુકા કક્ષાએ આવેદન પત્રો આપવામાં આવશે. ગુજરાત સરકારને પણ આ ગંભીર બાબતે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવશે. અંતમાં, તેમણે સામાજિક સમરસતા પર ભાર મૂકતા અપીલ કરી હતી કે, જવાબદાર અધિકારીના સમાજના આગેવાનોએ પણ આવા વર્ગવિગ્રહ ફેલાવતા તત્વોને જાહેરમાં વખોડવા જોઈએ અને સમાજથી દૂર રાખવા જોઈએ.
21 ઓગસ્ટ, 2025ના દિવસે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે વિધાનસભાની અંદર RSSની પ્રાર્થના 'નમસ્તે સદા વત્સલે..' ગાઈ હતી. ત્યારથી ભાજપ અને કોંગ્રેસ બંનેને કાન સરવા થઈ ગયા. બે મહિના પહેલાંથી જ ડીકે શિવકુમારે કોંગ્રેસને મેસેજ આપી દીધો હતો કે નવેમ્બરમાં મને મુખ્યમંત્રી નહિ બનાવો તો હું ભાજપ તરફ પણ ઢળી શકું તેમ છું. પણ કોંગ્રેસે ત્યારે એ વાતને ગંભીરતાથી લીધી નહિ. હવે કોંગ્રેસને પગ નીચે રેલો આવ્યો છે, કર્ણાટકમાં કોંગ્રેસમાં જ કકળાટ શરૂ થયો છે. નમસ્કાર, 2023માં જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર આવી ત્યારે બે બળિયા વચ્ચે CM બનવા માટે માથાકૂટ થઈ હતી. આ બે બળિયા એટલે સિદ્ધારમૈયા અને બીજા ડીકે શિવકુમાર. એ વખતે કોંગ્રેસે બેસીને તોડ કાઢ્યો કે, અઢી વર્ષ સિદ્ધારમૈયા CM રહેશે અને પછીના અઢી વર્ષ ડીકે શિવકુમાર CM બનશે. આ રીતે અઢી-અઢી વર્ષનાં ચોકઠાં ગોઠવાયાં. હવે સિદ્ધારમૈયાના અઢી વર્ષ 20 નવેમ્બરે પૂરા થઈ ગયા છે. શિવકુમારે હવે પોતે CM બનશે તેવી વાતને પાછલા બારણેથી હવા આપી ને કુકરી ગાંડી કરી છે. સિદ્ધારમૈયા ખુરશી છોડવા તૈયાર નથી ને શિવકુમારને જોઈએ છે. પેચ અહિ ફસાયો છે. વિવાદ શરૂ થયો કેવી રીતે?કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાનો વિવાદ 20 નવેમ્બરે શરૂ થયો. 20 નવેમ્બરે વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો કાર્યકાળ પૂરો થયો. કોંગ્રેસે કરેલા કમિટમેન્ટ મુજબ હવે પછીના અઢી વર્ષ માટે ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવામાં આવવાના હતા. શિવકુમાર અત્યારે નાયબ મુખ્યમંત્રી છે. શિવકુમારના સમર્થક ધારાસભ્યો 20 નવેમ્બરે દિલ્હી પહોંચ્યા અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને મળ્યા. તેમણે ડિમાન્ડ મૂકી કે શિવકુમારને CM બનાવો. ખડગેએ કહ્યું, જોશું... હું રાહુલ અને સોનિયાજીને મળીશ. પછી નક્કી કરીશું. એ પછીના બીજા દિવસે 21 નવેમ્બરે શિવકુમારે સોશિયલ મીડિયા પર લખ્યું કે, CM સિદ્ધારમૈયા પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે. CM અને હું અમે બંને હાઈકમાન્ડની વાત માનીશું. મારા લોહીમાં જૂથબાજી નથી. પણ આ પહેલાં શિવકુમારે 19 નવેમ્બરે જ ગુગલી નાખી હતી. તેમણે ઈન્દિરા ગાંધીની જયંતી નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં સમર્થકોને કહ્યું કે, કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ તરીકે મને સાડાપાંચ વર્ષ થઈ ચૂક્યા છે. હમણાં છ વર્ષ થશે. હવે બીજા નેતાઓને પણ ચાન્સ મળવો જોઈએ. હું લીડરશિપમાં રહીશ. ચિંતા ન કરો, હું ફ્રન્ટલાઈનમાં જ રહીશ. મારો પ્રયાસ છે કે મારા કાર્યકાળમાં હું પાર્ટીની 100 ઓફિસ બનાવું. ડીકે શિવકુમાર ફ્રન્ટમાંથી ભલે અલગ વાત કરે પણ અત્યારે તે પડદા પાછળથી રમત રમી રહ્યા છે. એક અઠવાડિયાથી ચાલી રહેલા ખેલનો તોડ કોંગ્રેસ પાસે નથી?કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ માટે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચેનો તણાવ એક અઠવાડિયાથી ચાલુ છે. શિવકુમારે મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસનું નાક દબાવ્યું છે તો સિદ્ધારમૈયા પણ મુખ્યમંત્રીની ખુરશી જાળવી રાખવા શક્તિ પ્રદર્શન શરૂ કરવા માટે તૈયાર છે. સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર વચ્ચેનો સત્તા સંઘર્ષ દિલ્હી સુધી પહોંચી ગયો છે. કોંગ્રેસ હાઈકમાન્ડ આ મામલે એક્ટિવ થઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી કર્ણાટક મુદ્દે મિટિંગ કરવાના છે. સિદ્ધારમૈયા અત્યારે તેલ જુઓ ને તેલની ધાર જુઓ એવી નીતિ અપનાવી રહ્યા છે. હાઈકમાન્ડ મુખ્યમંત્રી પદમાં ફેરફાર કરવાના મૂડમાં છે પણ સિદ્ધારમૈયા ફાચર પાડે તેમ છે. જો કોંગ્રેસ શિવકુમારને મુખ્યમંત્રી બનાવે તો સિદ્ધારમૈયાના સંખ્યાબંધ ધારાસભ્યો દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. શિવકુમારનું રહસ્યમય નિવેદનઆ દરમિયાન શિવકુમારે એક એવું નિવેદન આપ્યું છે જેને રાજ્યમાં મુખ્યમંત્રી પદ માટે ચાલી રહેલા ઝઘડા સાથે જોડવામાં આવી રહ્યું છે. શિવકુમારે કહ્યું કે વર્ડ પાવર ઈઝ વર્લ્ડ પાવર. (શબ્દોની તાકાત દુનિયાની તાકાત છે) શિવકુમાર બોલ્યા કે- ભલે તે ન્યાયાધીશ હોય, રાષ્ટ્રપતિ હોય, હું હોઉં, તમે હોવ કે તમારા પરિવારમાંથી કોઈ હોય, આ સૌથી મોટી તાકાત છે અને આપણે શબ્દોનું સન્માન કરવું જોઈએ. શિવકુમારે આ બધું મોઘમમાં કહ્યું છે. તેનો અર્થ શું થાય એ તો એ જ જાણે. કોણ છે ડીકે શિવકુમાર?ઉંમર : 63 વર્ષકર્ણાટક કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષવ્યવસાય : બિઝનેસમેનઅભ્યાસ : પોસ્ટ ગ્રેજ્યુએટ1985 : કોંગ્રેસની ટિકિટ પર પહેલીવાર ચૂંટણી લડ્યા.27 વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યા30 વર્ષની ઉંમરમાં જ રાજ્યમાં મંત્રી બન્યાસતત 7 ટર્મથી ધારાસભ્ય છે2023માં તેની સંપત્તિ 1400 કરોડ હતીવોક્કાલિંગા સમુદાયમાંથી આવે છે48 સીટો પર આ સમુદાયની અસર છે શું ડીકે કર્ણાટકમાં 'મહારાષ્ટ્રના શિંદે' બનશે?ડીકે વારંવાર કહી ચૂક્યા છે કે તેમના લોહીમાં વારેવારે પાર્ટી બદલવાની ટેવ નથી. 21 નવેમ્બરે કરેલા તેમના ટ્વીટ પરથી ખ્યાલ આવે છે કે તેઓ મંત્રીમંડળમાં ફેરફાર એટલે ઈચ્છે છે કે પોતાના સમર્થકોને એવું લાગે કે મને યોગ્ય જગ્યા મળી છે. સત્તા માટે સંઘર્ષ હંમેશા સરળ હોતો નથી. સત્તા માટે પક્ષ બદલતા પહેલા પણ નેતાઓએ આવા જ નિવેદનો આપ્યા છે. એ પણ સાચું છે કે સત્તાનો મોહ વ્યક્તિને બધું છોડી દેવા માટે મજબૂર કરી શકે છે.સવાલ એ થાય છે કે શું ડીકે મહારાષ્ટ્રના રાજકારણના એકનાથ શિંદે જેવા પગલાં લેશે? ડીકેના અગાઉના નિવેદનો અને વર્તન જોઈએ તો તે મનથી ભાજપની નજીક જઈ રહ્યા છે. એટલે જ તેમણે સંઘનું ગીત ગાયું હતું. ડીકે શિવકુમારે અયોધ્યા જઈ રામ લલ્લાના દર્શન કર્યા, મહાકુંભ મેળામાં પ્રયાગરાજ ગયા. ભાજપમાં તેમના ઘણા મિત્રો પણ છે. તેથી તેમાં કોઈ શંકા નથી કે એકનાથ શિંદેની જેમ ભાજપ પણ તેમને કર્ણાટકના મુખ્યમંત્રી બનવા માટે સમર્થન આપે. રાજનીતિમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. કર્ણાટકમાં સરકાર ભાંગી પડવાની સંભાવના, ભાજપ આપદામાં અવસર શોધે છે..કર્ણાટકમાં કોંગ્રેસ પાસે 135 ધારાસભ્યો છે, તેથી સરકાર ખૂબ મજબૂત છે. જોકે, આંતરિક ઝઘડાને કારણે 20-25 ધારાસભ્યો નારાજ છે. જો શિવકુમાર 'શિંદે મોડેલ' અપનાવે છે, તો તે 30-40 ધારાસભ્યોને તોડી શકે છે.શક્ય છે કે મંત્રીમંડળમાં ફેરફાર થવાથી શિવકુમારના સમર્થકોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે. છતાં ભાજપ પાસે હજુ પણ તક રહેશે. બીજું, જો સરકાર પડી ભાંગે તો ભાજપ મીડ-ટર્મ ચૂંટણી કરાવી શકે છે. 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના નબળા પ્રદર્શનને જોતાં તે ક્યારેય મીડ ટર્મ ચૂંટણી ઈચ્છશે નહિ. ભાજપે MUDA કૌભાંડ અને હાઉસિંગ લાંચ જેવા મુદ્દાઓને ઉપાડી કર્ણાટકની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. જો CBI અને ED એક્ટિવ થાય તો ધારાસભ્યો ડરી શકે છે. જો કોંગ્રેસ આ મુદ્દાઓને સમજે છે તો ડીકેને તાજ પહેરાવવામાં આવે તેવી સંભાવના છે. જો સિદ્ધારમૈયા બળવો કરવાનો પ્રયાસ કરે તો તેમને ભાજપનો ટેકો મળી શકે છે. એટલે જે નારાજ થાય તેને ભાજપ સપોર્ટ કરશે. અત્યારે ભાજપના બે હાથમાં લાડુ છે. સિદ્ધારમૈયાએ હાઈકમાન્ડને કહી દીધું, હું જ 5 વર્ષ પૂરાં કરીશકર્ણાટક કોંગ્રેસ માટે આ 'આપત્તિનો સમય' સિદ્ધારમૈયાની જીદ અને શિવકુમારની મહત્વાકાંક્ષાનું પરિણામ છે. શાસન ઠપ થઈ ગયું છે, વિકાસ અટકી ગયો છે અને જનતા ગુસ્સામાં છે. ભાજપને કોંગ્રેસ વિરુદ્ધ શક્ય તેટલું વધુ ટ્રોલિંગ કરવાની તક મળી છે. પરંતુ સરકાર વહેલા કે મોડા પડી જાય તેવો માહોલ સર્જાયો છે. કોંગ્રેસ હાઈકમાન્ડ સત્તા સંભાળવાની સ્થિતિમાં હોય તેવું લાગતું નથી. છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ સિદ્ધારમૈયાને કેન્દ્રમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે. થોડા દિવસો પહેલા તેમને કોંગ્રેસના ઓબીસી વિભાગની સલાહકાર પરિષદના સભ્ય તરીકે નિયુક્ત કરવાની ચર્ચા થઈ હતી. તે સમયે ભાજપે દાવો કર્યો હતો કે સિદ્ધારમૈયાને દિલ્હી આમંત્રણ આપીને કોંગ્રેસ બેંગલુરુમાં ડીકેને તાજ પહેરાવવા માંગે છે. OBC પેનલ માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અશોક ગેહલોત અને ભૂપેશ બઘેલ સહિત 24 નેતાઓના નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે, પરંતુ સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર વચ્ચેના સત્તા સંઘર્ષમાં તેમના નામથી લોકોને આશ્ચર્ય થયું. જોકે તે સમયે જ સિદ્ધારમૈયાએ કહી દીધું હતું કે મારે કોઈ પરિષદ-બરિષદમાં આવવું નથી. હવે સિદ્ધારમૈયા ખુલ્લેઆમ કહી રહ્યા છે કે મારે આગામી વર્ષનું બજેટ રજૂ કરવાનું છે. રાજ્યોના ઘણા કામો બાકી છે, એટલે મને જ પાંચ વર્ષ પૂરા કરવા દેવામાં આવે. રાહુલ ગાંધીએ શિવકુમારના ફોન ઉપાડ્યા નહિઅંગ્રેજી મીડિયા રિપોર્ટમાં એવા સમાચાર વહેતા થયા છે કે ડીકે શિવકુમાર એક અઠવાડિયાથી રાહુલ ગાંધી સાથે વાત કરવા માગતા હતા. તે ફોન કરતા હતા પણ રાહુલ તેમના ફોન ઉપાડતા નહોતા. અંતે અઠવાડિયા પછી રાહુલ ગાંધીએ ડીકે શિવકુમારને વોટ્સએપ પર મેસેજ મોકલ્યો કે પ્લીઝ વેઈટ, આઈ વીલ કોલ યુ… બીજી તરફ દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન સંબંધિત મુદ્દાઓ પર જાહેર મંચ પર ચર્ચા કરી શકાય નહિ. પાર્ટી પ્રમુખ ક્યાંય તેની ચર્ચા કરતા નથી. હું ચાર-પાંચ લોકોને મળીશ અને આ સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ કરીશ. છેલ્લે,2017માં ગુજરાતમાં ત્રણ સીટ પર રાજ્યસભાની ચૂંટણી થવાની હતી. ભાજપ બે બેઠકો જીતશે તે નક્કી હતું, પરંતુ ત્રીજી બેઠક હચૂડચૂ હતી. ત્યારે અહેમદ પટેલ કોંગ્રેસના ઉમેદવાર હતા. પટેલને જીતાડવા માટે ડીકે શિવકુમારે ગુજરાતના તમામ કોંગ્રેસના ધારાસભ્યોને ફ્લાઈટમાં બેંગલુરુ બોલાવી લીધા. પોતાની બધી તાકાત લગાવવા છતાં ભાજપ ત્રીજી બેઠક જીતી શક્યો નહીં. એવું કહેવાય છે કે ભાજપે ત્યારથી જ ઓપરેશન લોટસ માટે શિવકુમારની તાકાત જાણી લીધી હતી. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ... આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)
શહેરમાં ખાણીપીણીની ચીજવસ્તુ બનાવવા માટે દરરોજ 50 લીટરથી વધુ ખાદ્યતેલનો ઉપયોગ કરતી હોટલ- રેસ્ટોરન્ટ અને ફૂડ એકમોને નિયત કરવામાં આવેલી એજન્સીઓને કે જેઓ બાયો-ફ્યુઅલના ઉત્પાદન સાથે જોડાયેલા હોય તેઓને જ આપવાનું હોય છે તેમજ આદ્ય તેલના આપવાથી લઈને વપરાશ વગેરે અંગેનો રેકોર્ડ રાખવાનો હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા આવા મોટા ફૂડ એકમોમાં તપાસ કરવામાં આવી હતી. ફુડ વિભાગના અધિકારી ડો.તેજસ શાહના જણાવ્યા મુજબ કેટલાક ફૂડ એકમો દ્વારા સાબુ બનાવનાર એજન્સી અથવા કંપનીને આ ખાદ્ય તેલ વેચવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું હતું. શહેરના 27 ફૂડ એકમો દ્વારા નિયમોનું પાલન કરવામાં ન આવતા તેમને નોટિસ આપવામાં આવી છે. એકમોને નોટિસ ફટકારી નક્કી કરાયેલી એજન્સીને જ ખાદ્યતેલ વેચવા જણાવાયુંકોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા મણિનગરમાં શ્રી મહેતા સ્વિટ્સ, લિજ્જત ખમણ, ગોતામાં અંબિકા દાલવડા, રાયપુર ભજીયા હાઉસ, નરોડામાં સમ્રાટ નમકીન પ્રા. લી, નરોડામાં ગ્વાલિયા સ્વીટ્સ, જૈન નમકીન, ન્યુ ઓસવાલ રેસ્ટોરન્ટ આઈસ્ક્રીમ, જય ભૈરવનાથ ચવાણા હાઉસ, રુચિ કેટર્સ, આસ્ટોડીયા ભજીયા હાઉસ સહિતના એકમોને નોટિસ આપી અને સાત દિવસમાં નિયત કરવામાં આવેલી એજન્સીઓને જ આ ખાદ્યતેલ વેચવા માટે તેમજ તેનું યોગ્ય રજીસ્ટર નિભાવવા જણાવવામાં આવ્યું છે. દરરોજ 50 લિટર કે તેથી વધુ તેલનો ઉપયોગ કરનાર એકમો માટે માર્ગદર્શિકાફૂડ સેફટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકા અનુસાર, વારંવાર ખાદ્યતેલને ગરમ કરતાં તેમાં Total Polar Compounds (TPC) વધે છે. TPC 25% થી ઉપર જેટલા વધે ત્યારે ખાદ્ય તેલ માનવ સેવન માટે અસુરક્ષિત બની જાય છે. આવા ખાદ્ય તેલના સેવનથી હ્રદય રોગ, લિવર સંબંધિત રોગો થવાની સંભાવના વધી શકે છે. ફૂડ સેફટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાની દ્વારા દૈનિક 50 લીટર અથવા તેથી વધુ કુકિંગ ઓઈલ વાપરતા મોટા ફૂડ બિઝનેશ ઓપરેટર માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે જેમાં તેઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ખાદ્ય તેલ ના ટોટલ પોલર કમ્પાઉન્ડ (TPC) 25 ટકાથી ન વધે તે સુનિશ્ચિત કરવા માટે સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવેલા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વોર્ડમાં દૈનિક 50 લીટરથી વધુ ખાદ્ય તેલનો ઉપયોગ કરતા યુનિટોની તપાસ કરવામાં આવી હતી. જેમાં કેટલાક ફૂડ એકમો દ્વારા સાબુ બનાવનાર કંપનીને ખાદ્યતેલ વેચવામાં આવ્યું હતું. ખાદ્ય તેલના વપરાશ અને તેને કેટલું વેચવામાં આવ્યું તે અંગેનું રજીસ્ટર નિભાવવાનું હોય છે પરંતુ તેનું રજીસ્ટર નિભાવવામાં આવ્યું ન હોવાનું સામે આવતા તેને નોટિસ આપવામાં આવી છે અને 7 દિવસમાં આ બાબતોના પાલન માટે સુચના આપવામાં આવી છે. વપરાશ કરેલા ખાદ્ય તેલ (Used Cooking Oil) અંગેની વધુ માહીતી https://eatrightindia.gov.in/ruco/index.php વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે 48 પર માથાસુલિયા ગામ નજીક મોડી સાંજે એક કાર પલટી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલક સહિત ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ તમામ લોકો અમદાવાદના રહેવાસી છે. મૃતકો-ઇજાગ્રસ્તોની વિગત મૃતદેહોને ગાંભોઈ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયાઘાયલ વ્યક્તિને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મૃતકોના મૃતદેહોને ગાંભોઈની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકો અમદાવાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યુંગાંભોઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI એસ.જે. ગોસ્વામીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, શામળાજી તરફથી ગાંભોઈ તરફ આવી રહેલી હેરિયર કાર માથાસુલિયા ગામ પાસે પલટી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, મૃત્યુ પામેલા તમામ પુરુષોની ઉંમર આશરે 35 વર્ષ છે અને તેઓ અમદાવાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોના પરિવારજનોને પોલીસે જાણ કરીપોલીસે મૃતકોના પરિવારજનોને જાણ કરી છે, જેઓ હાલ રસ્તામાં છે. પરિવારજનોના આવ્યા બાદ મૃતકોની ઓળખ અને અકસ્માત અંગેની વધુ વિગતો સ્પષ્ટ થશે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક ભગો સામે આવ્યો છે. આજે બી. એ. વિથ હિસ્ટ્રી સેમેસ્ટર - 3 માં વર્ષ 1820 થી 1948 સુધીના સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ રાજવંશો વૈકલ્પિક પેપર હતું જો કે તેમાં વિદ્યાર્થીઓએ જે વાંચ્યું હતું તેનાથી સદંતર અલગ જ પેપર પરીક્ષા કેન્દ્રો ઉપર આપવામાં આવતા વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા અને પોતાની સમસ્યા સુપરવાઇઝરને કહેવામાં આવતા પરીક્ષા વિભાગને આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતુ. જેથી વિદ્યાર્થીઓએ જે વાંચ્યું હતું તે પ્રમાણેનું બીજું પેપર 15 મિનિટ બાદ આપવામાં આવ્યું હતું. જેના લીધે વિદ્યાર્થીઓનો સમય પણ બગડ્યો હતો અને બાદમાં પેપર પૂર્ણ કરવા માટે વધારાનો સમય આપવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષાની નિયમક ડૉ. મનીષ શાહનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, આજે બી.એ. સેમેસ્ટર -3 માં ઇતિહાસ વિષય સાથે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનું ઓપ્શનલ પેપર important dynasties of saurashtra 1820 to 1948 (optional) હતુ. જેમાં 300 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા જોકે પેપર જ્યારે વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે અમે જે વાંચ્યું છે તે આ પેપરમાં નથી. જેથી વિદ્યાર્થીઓને તુરંત જ બીજું પેપર બદલી આપ્યું હતુ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં જ એક પેપરમાં મોટો ભગો સામે આવ્યો હતો જેમા ગત 12 નવેમ્બરના લેવાયેલા બીસીએ સેમેસ્ટર -5 ના પ્રોગ્રામિંગ ઇન પાયથન પેપરમાં જામનગરની ખાનગી દોશી કોલેજનું ઇન્ટર્નલ પરીક્ષાનું બેઠું પેપર ધાબડી દેવાયુ હતુ. જે બાદ પેપર સેટ કરનાર અધ્યાપકને પરીક્ષા કામગીરી માંથી મુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ તેને કારણે 2200 જેટલા વિદ્યાર્થીઓને ફરી વખત 22મી નવેમ્બરે પેપર આપવાની ફરજ પડી હતી.
મરોલી-નવસારી રાજ્ય ધોરીમાર્ગ પર એક સિમેન્ટ મિક્સર ટ્રકે બે ભેંસોને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બંને ભેંસોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના મરોલી-નવસારી સ્ટેટ હાઈવે પર આવેલી સાત ખાડી નજીક બની હતી. પૂરપાટ ઝડપે આવી રહેલા સિમેન્ટ મિક્સર ટ્રકના ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવેલી ટ્રક રોડ પર ચાલી રહેલી બે ભેંસો સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, બંને ભેંસોનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. આ ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. મૃતક પશુઓના માલિકો અને સ્થાનિક રહીશો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જ્યાં પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. બનાવની જાણ થતાં જ મરોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તાત્કાલિક સ્થિતિને કાબૂમાં લીધી હતી અને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. આ મામલે પોલીસે સિમેન્ટ મિક્સર ટ્રકના ચાલકની અટકાયત કરી છે અને અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાટણ શહેરના ઊંઝા ત્રણ રસ્તા નજીક આવેલી હરિ કૃપા સોસાયટીમાં ઓવરહેડ પાણીનો ટાંકો છલકાવવાની સમસ્યાથી રહીશો પરેશાન છે. 8 લાખ લિટરની ક્ષમતાનો આ ટાંકો દર બે દિવસે છલકાઈ જાય છે, જેના કારણે સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે. રહીશો આ માટે બોર ઓપરેટરની બેદરકારીને જવાબદાર ઠેરવી રહ્યા છે. આ અંગે આજે સ્થાનિકો પાલિકા કચેરીમાં આવી રજૂઆત કરી હતી. સ્થાનિકોની રજૂઆત મુજબ, સોસાયટીના પાછળના ભાગમાં આવેલો આ ટાંકો વારંવાર છલકાય છે. ટાંકો ઊભરાવાના કારણે સોસાયટીના રસ્તાઓ પર પાણી ફરી વળે છે, જેનાથી અવરજવર અને દૈનિક પ્રવૃત્તિઓમાં ભારે હાલાકી થાય છે. રહીશોએ આ સમસ્યા માટે બોર ઓપરેટરની ગંભીર બેદરકારીને જવાબદાર ગણાવી છે. તેમના જણાવ્યાં મુજબ, ફરજ પરના કર્મચારી પાણીની મોટર ચાલુ કરીને જતા રહે છે અને ટાંકો છલકાયા પછી પણ હાજર રહેતા નથી. રહીશો જાણ કરે ત્યારે અન્ય કોઈ વ્યક્તિને મોકલીને મોટર બંધ કરાવવામાં આવે છે. આ કાયમી સમસ્યાના ઉકેલ માટે રહીશોએ વહીવટી તંત્ર સમક્ષ બે મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. પ્રથમ માંગણી ટાંકામાં પાણીની સપાટી નિયંત્રિત કરવા માટે તાત્કાલિક સેન્સર લગાવવાની છે, જેથી પાણીનો બગાડ અટકે અને રહીશોની પરેશાની દૂર થાય. બીજી માંગણીમાં જો સેન્સર ન લગાવી શકાય તો છલકાઈ જતા પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવાની છે. રહીશોએ સૂચન કર્યું છે કે, આ પાણીને ગટરમાં નાખવામાં આવે અથવા બાજુમાં આવેલા 10 લાખ લિટરની ક્ષમતાવાળા મોટા સમ્પમાં કનેક્શન આપીને તેનો ઉપયોગ કરવામાં આવે. પાટણ નગરપાલિકાના ઉપ પ્રમુખ હીનાબેન શાહે આ અંગે જણાવ્યું હતું કે, જાવેદભાઈને તાત્કાલિક સેન્સર લગાવવાની કાર્યવાહી કરવા અને સ્થળ પર હાજર રહીને બોર ઓપરેટરને બોલાવવા સૂચના અપાઈ છે. તંત્રએ ચેતવણી આપી છે કે જો ફરજ પરનો કર્મચારી યોગ્ય રીતે કામ નહીં કરે તો તેને બદલવાની કાર્યવાહી કરવામાં આવશે.
ભાવનગરમાં પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પ્રગતિબેન આહીર દ્વારા દારૂ અને ડ્રગ્સના ખુલ્લેઆમ વેચાણ મુદ્દે ભાવનગર ડીવાયએસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમણે યુવાધનને નશામાં ધકેલવાની RSS અને ભાજપની નીતિ હોવાનું કહી આક્ષેપ કરતા કહ્યું કે, ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે. આનંદનગર તો દારૂનો દરિયો ગણાય તો તંત્ર કે સાંસદ-MLAને નથી દેખાતો? આ સાથે જ તેમણે કમલમ સુધી હપ્તો પહોંચતો હોવાનું જણાવ્યું હતું. બુટલેગરોએ અડ્ડા બનાવ્યા છે, ત્યાંના લોકેશન નાખ્યા છેઃ પ્રગતિબેન આહીરઆજરોજ ગુજરાત સેવાદળના અધ્યક્ષ અને પ્રવક્તા પ્રગતિબેન આહીર ભાવનગરની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે સરકાર અને પોલીસ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂ વેચનારા બુટલેગરો સોશિયલ મીડિયા મેપ પર લોકેશન સાથે ખુલ્લેઆમ પોતાના દારૂના અડ્ડાની જાહેરાત કરે છે. દારૂના જ્યાં જ્યાં બુટલેગરોએ અડ્ડા બનાવ્યા છે, ત્યાંના લોકેશન અને મેપ નાખ્યા છે. એમાંનું એક એક સ્થળ ભાવનગર પણ છે. ‘આનંદનગર તો દારૂનો દરિયો ગણાય, જનતાને પણ ખબર છે’અહીંયા આવ્યા પછી મને લોકોની સાથે મળ્યા પછી ચર્ચા કર્યા પછી જાણવા મળ્યું છે કે, આનંદનગર તો દારૂનો દરિયો ગણાય છે. જો સામાન્ય જનતાને ખબર હોય કે આ દારૂનો દરિયો ગણાય છે તો શું અહીંયા તંત્રને નથી દેખાતું...? અહીંયા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્યોને નથી દેખાતો કે, અહીંયા દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે તો એને કેમ બંધ નથી કરાવતા? ‘આજે સામાન્ય પાનના ગલ્લા પર પણ ડ્રગ્સ મળી જાય છે’વધુમાં ઉમેર્યું કે, આપણી ગુજરાતીમાં કહેવત છે કે સરકાર આપણી માઇ બાપ છે. સરકારની પહેલી ફરજ યુવાધન બરબાદ થતું હોય તેને કેવી રીતે રોકવું. એની જગ્યાએ આ સરકારે પ્રાઇવેટ પોર્ટ આપી દીધા છે અને પ્રાઇવેટ પોર્ટ ઉપરથી ડ્રગ્સનો આટલો મોટો વેપલો કરવામાં આવી રહ્યો છે. આજે યુવાધનને સામાન્ય પાનના ગલ્લા પર પણ સીરપના નામે ડ્રગ્સ મળી જાય છે, ઇન્જેક્શનના નામે ડ્રગ્સ મળી રહ્યો છે અને પડિકાના નામે ડ્રગ્સ મળી રહ્યો છે. આમાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે. ‘યુવાનોને નશાની અંદર પરોવી દયો, તો સવાલ ના ઉઠાવે’આ સરકારની પહેલેથી જ નીતિ છે. RSS અને ભાજપની વિચારધારા છે કે, યુવાનોને તમે નશાની અંદર પરોવી દયો, તો તમારી સામે સવાલ ના ઉઠાવે. સવાલ ન ઉઠાવે એના માટે આ સરકારને જ જીમ્મેદાર ગણું છું. સરકારે એમના તંત્રને અને પૂરેપૂરા પોલીસ તંત્રને તમામ તંત્રને પોતાના અંડરમાં લીધેલું છે અને એ કોઈ કામ ન કરી શકે અને ત્યાં સુધી કમલમ સુધી હપ્તો પહોંચે છે. ‘દેશના નિષ્ઠાવાન ઓફિસરોને અમે સેલ્યુટ કરીએ છીએ’મેં જ્યારે ડીવાયએસપીને આવેદનપત્ર આપ્યું ત્યારે કહ્યું છે કે, આ ખાલી કાગળનો કટકો જ છે એમ ન સમજતા. આમા કેટલી બધી મહિલાઓના અરમાન છે. કેટલા બધા યુવાનોની જિંદગીનો સવાલ છે. કેટલા પરિવારની વાત છે અને કાગળનો ટુકડો ન માનતા આવેદનપત્રને ધ્યાનમાં રાખીને ભાવનગરમાં જિલ્લામાંથી અને શહેરમાંથી દારૂ ડ્રગ્સની નાબુદી થાય. કેમ કે, ઘણા બધા જે ઓફિસરો હપ્તાખોરીના લીધે ઘર ચલાવવા માંડ્યા છે, જનતાનો ભોગ લેતા હોય છે, એનો અમારો વિરોધ છે. જે આ દેશ માટે નિષ્ઠાવાન અને જે દેશ માટે પોતાનું સર્વસ્વ દઈ દેવા તૈયાર છે તે ઓફિસરો માટે સંવિધાન ધ્યાનમાં રાખીને નોકરી કરી રહ્યા છે, એવા ઓફિસરોને અમે સેલ્યુટ કરીએ છીએ. જે હપ્તા ખાય છે, એવા જે બુટલેગરો પોતાના બાંધમાં રાખીને ફરે છે એવા ઓફિસરોને કહીએ છીએ કે, આ દેશના સંવિધાન સોગંદ ખાધા હતા એને ધ્યાનમાં રાખી આ દેશની સેવા કરો. દારૂ અને ડ્રગ્સના દુષણથી યુવાધનને બચાવવા માગશહેર કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસના કાર્યકરોની ઉપસ્થિતિમાં તેમણે ડીવાયએસપીને આવેદનપત્ર આપી દારૂના દુષણ અને ડ્રગ્સથી યુવાધનને બચાવવા માગ કરી છે.
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ચુડા તાલુકાના કોરડા ગામમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલા સોનાના દાગીના, એક મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત કુલ ₹4,00,400/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે, કલ્પેશ હંસોરા (રહે. ખોડુ, વઢવાણ) નામના ઈસમને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી કુલ ₹4,00,400/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં સોનાનો હાર (₹2,20,000/-), સોનાની બુટ્ટીની પાંદડીઓ એક જોડ (₹51,600/-), સોનાની વીંટી નંગ 1 (₹37,000/-), સોનાના કાપ એક જોડ (₹56,800/-), એક બાઈક (₹30,000/-) અને મોબાઈલ ફોન નંગ 1 (₹5,000/-)નો સમાવેશ થાય છે. આ કામગીરીમાં LCB સુરેન્દ્રનગરના પોલીસ ઈન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઈન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્ક્વોડના I/C પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.એ. રાયમા, ચુડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ. એન.એ. ડાભી અને સ્ટાફના અજયવીરસિંહ ઝાલા, યુવરાજસિંહ વાઘેલા, અશ્વિન માથુકીયા, મહેન્દ્ર દાદરેસા, કપીલ સુમેરા, મેહુલ મકવાણા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આરોપીને વધુ કાર્યવાહી માટે જોરાવરનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
નખત્રાણા તાલુકાના સાયરા યક્ષ વચ્ચે આવેલી પાપડીમાંથી ગુમ થયેલા એક 55 વર્ષીય આધેડનો મૃતદેહ ત્રીજા દિવસે મળી આવ્યો છે. આ વિસ્તારમાં મગરની હાજરીને કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની હતી, અને અંતે તે નિષ્ફળ રહી હતી. મૃતક વેલજી મમુ ગરવા (ઉંમર 55) ગત 25મી તારીખે સવારે મજૂરી કામ માટે ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યા ન હતા. તેમની શોધખોળ દરમિયાન તેમના સ્લીપર પાપડી નજીકથી મળી આવ્યા હતા, જેના આધારે તેઓ પાણીમાં ડૂબી ગયા હોવાની આશંકા સેવાઈ રહી હતી. ભુજ ફાયર વિભાગની ટીમે બંધિયાર પાણીમાં હિંસક મગરની હાજરી હોવા છતાં જીવના જોખમે બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે, મગરના ભય અને પાણીની સ્થિતિને કારણે મૃતદેહ શોધવામાં ભારે મુશ્કેલી પડી હતી. ત્રણ સંતાનના પિતા એવા વેલજી ગરવાનો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની વ્યાપી ગઈ છે.
ભરૂચ શહેરના દહેગામ વિસ્તારમાં મ્યુઝિક સિસ્ટમનો અવાજ ધીમો રાખવા બાબતે થયેલી સામાન્ય તકરાર ઘાતક રૂપ ધારણ કરી હતી. આ તકરાર દરમિયાન થયેલી મારામારીમાં 62 વર્ષીય ઐયુબ ગુરજીનું હૃદય અને ફેફસા ફાટી જવાથી મોત નિપજ્યું હતું. બનાવ બાદ પોલીસે ત્રણ લોકો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે સૌપ્રથમ યુવતીના મંગેતર મહોમદસોબાન ઈમ્તિયાઝ શેખને ઝડપી પાડ્યો હતો, જ્યારે યુવતી ગજાલાબાનું ઈમરાનભાઈ મન્સુરી અને એક સગીરની ધરપકડ બાકી હતી. તાલુકા પોલીસ મથકના પીઆઈ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ માહિતી આપી હતી કે, ગતરોજ સગીરને કસ્ટડીમાં લઈ તેને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ યુવતી ગજાલાબાનું મન્સુરી સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ હતી. હોસ્પિટલમાંથી રજા મળતા આજે 27 નવેમ્બરે તેની પણ ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે. આ મામલે વધુ ચર્ચા એ કારણે પણ છે કે, 20 ડિસેમ્બરના રોજ ગજાલાબાનું અને મહોમદસોબાનનો નિકાહ થવાના હતા, પરંતુ હાલ બંને જેલમાં છે. આ પણ વાંચો-મ્યુઝિક સિસ્ટમ ધીમી કરવા બાબતે પાડોશી પર હુમલો, છાતીમાં ઢીંકાપાટુ મારતાં આધેડનાં હૃદય-ફેફસાં ફાટી ગયાં
ગુજરાત સરકારે વર્ષ 2026 માટે સરકારી કર્મચારીઓ અને બેંકોની રજાઓની સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે. આ વખતે કુલ 23 જાહેર રજાઓ, 33 મરજિયાત રજાઓ (જેમાંથી મહત્તમ 3 પસંદ કરી શકાય) તથા બેંકો માટે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ 18 રજાઓ નક્કી કરવામાં આવી છે. તદુપરાંત જો જાહેર રજા રવિવારે આવે તો તેની બદલે અલગ રજા મળશે નહીં, સતત બે દિવસની મરજિયાત રજા મંજૂર થશે નહીં અને આવશ્યક સેવાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને મરજિયાત રજા તાત્કાલિક મળશે નહીં – આવી સ્પષ્ટ સૂચનાઓ પણ વિભાગે આપી છે. જાન્યુઆરી, ડિસેમ્બર અને જૂનમાં 3 દિવસનું બ્રેક થયા વિનાનું લોંગ વીકેન્ડ મળશે. જ્યારે એપ્રિલથી લઈ ઓક્ટોબર દરમિયાન જો વચ્ચે એક દિવસની રજા મૂકવામાં આવે તો 5 લોંગ વીકેન્ડ મેળવી શકશો. જાહેર રજાઓની યાદીઆ જાહેર રજાઓમાં મકરસંક્રાંતિ (14 જાન્યુઆરી), ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી), ધૂળેટી (4 માર્ચ), રમઝાન ઈદ (21 માર્ચ), રામનવમી (26 માર્ચ), ગુડ ફ્રાઈડે (3 એપ્રિલ), ડૉ. આંબેડકર જયંતી (14 એપ્રિલ), બકરી ઈદ (27 મે), મોહરમ (26 જૂન), સ્વતંત્રતા દિવસ-પારસી નવું વર્ષ (14 ઓગસ્ટ), ઈદ-એ-મિલાદ (26 ઓગસ્ટ), રક્ષાબંધન (28 ઓગસ્ટ), જન્માષ્ટમી (4 સપ્ટેમ્બર), ગાંધી જયંતી (2 ઓક્ટોબર), દશેરા (20 ઓક્ટોબર), સરદાર જયંતી (31 ઓક્ટોબર), વિક્રમ સંવત નવું વર્ષ (10 નવેમ્બર), ભાઈબીજ (11 નવેમ્બર), ગુરુ નાનક જયંતી (24 નવેમ્બર) અને નાતાલ (25 ડિસેમ્બર)નો સમાવેશ થાય છે. કર્મચારીઓ આ તારીખો પર લાંબા વીકેન્ડનું પ્લાનિંગ કરી શકેઅત્રે ઉલ્લેખનીય છે કે, મહા શિવરાત્રી (15 ફેબ્રુઆરી), પરશુરામ જયંતી (19 એપ્રિલ) અને દિવાળી (8 નવેમ્બર) રવિવારે આવતાં રજા ગણાશે નહીં. લાંબા વીકેન્ડની દૃષ્ટિએ જાન્યુઆરીમાં 24-26 (ત્રણ દિવસ), એપ્રિલમાં 3-5 તથા 12-14 (બંને વખત ત્રણ-ત્રણ દિવસ), જૂનમાં 26-28, ઓગસ્ટમાં 15-16 અને 26-28, સપ્ટેમ્બરમાં 4-6, ઓક્ટોબરમાં 2-3 તથા 31-1 નવેમ્બર અને ડિસેમ્બરમાં 25-27 સુધી સતત ત્રણ-ત્રણ દિવસના લાંબા વીકેન્ડ મળશે, જેનાથી કર્મચારીઓને ટૂંકી મુસાફરીનું આયોજન કરવામાં સરળતા રહેશે.
અનંત નેશનલ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ અને ક્રિએટિવ એકેડેમિક્સ માટે ખાસ તૈયાર કરાયેલા ઇન્ટરનેશનલ મૂવિંગ ઈમેજ ફેસ્ટિવલ, Mooo Festનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી 5 દિવસ સુધી શૈક્ષણિક કાર્યક્રમ તેમજ સિનેમા તથા મૂવિંગ ઈમેજ પ્રેક્ટિસની વૈશ્વિક અને ભવિષ્યલક્ષી સમજ પૂરી પાડવામાં મદદરૂપ થવાના છે. લાઇવ એક્શન ફિલ્મમેકિંગ, એનિમેશન, સાઉન્ડ ડિઝાઇન, ટેક્સ્ટ આધારિત સ્ટોરીટેલિંગ અને મીડિયા ટેકનોલોજી દ્વારા Mooo Fest 1.0ની વિદ્યાર્થીઓ માટે શરૂઆત કરવામાં આવી છે. આ ફેસ્ટિવલ વિદ્યાર્થીઓને સિનેમાને માત્ર મનોરંજન ન ગણતા, સર્જનાત્મક અભિવ્યક્તિ અને ટેક્નોલોજી સાથે જોડવા ઘણો ઉપયોગી થશે. વિશ્વભરના કલાકારો, શિક્ષણવિદો અને પ્રેક્ટિશનર્સ ભાગ લીધોઆ ઉદ્ઘાટન આવૃત્તિમાં ભારત અને વિશ્વભરના અગ્રણી કલાકારો, શિક્ષણવિદો અને પ્રેક્ટિશનર્સ ભાગ લઈ રહ્યા છે. જેમાં લિથુઆનિયાના વિલએએના ઇન્ટરડિસિપ્લિનરી આર્ટિસ્ટ ગેઈલ સિજુનાઈટીટ, લિથુઆનિયાની વિલ્નિયસ એકેડેમી ઓફ આર્ટસના એસોસિયેટ પ્રોફેસર ગિન્ટારે વાલેવિચુટે બ્રાઝૌસ્કીન, જર્મનીના KHMના એનિમેશન ડિરેક્ટર પ્રો. ઇસાબેલ હર્ગ્યુરા, સાઉન્ડ ડિઝાઈનર પ્રો. હંસ કોચ, ટોક્યોના કસ્ટમ નટ્સ સ્ટુડિયોના સ્થાપક સિલાસ હિકી, એવોર્ડ વિજેતા એનિમેટર વૈભવ કુરેશ, સ્વિટ્ઝર્લેન્ડના વિઝ્યુઅલ આર્ટિસ્ટ ફ્રાન્કોઈસ ચેલેટ, મુંબઈના ટ્રિપ ક્રિએટિવ સર્વિસના સ્થાપક પ્રતિક સેઠી અને જર્મનીના માસ્ટર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેમની સહભાગિતા Mooo Festને વિચારો, પદ્ધતિઓ અને કલાત્મક અભિગમો અન્ય વિદ્યાર્થીઓને કામ લાગશે. ફિલ્મ નિર્માણ કેવી રીતે શીખવવું અને શીખવું તેનું પ્લેટફોર્મ બનશેઅનંતના આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક ભાગીદારો સાથેના વર્તમાન સંબંધોને વધુ મજબૂત બનાવતા, આ ફેસ્ટિવલ સહયોગને ગાઢ બનાવવા અને ફિલ્મ નિર્માણ કેવી રીતે શીખવવું અને શીખવું તે પુનઃવ્યાખ્યાયિત કરવા માટેનું એક પ્લેટફોર્મ બની રહ્યું છે. વૈશ્વિક નિષ્ણાતો દ્વારા આયોજિત વર્કશોપ, સમકાલીન અને ઉભરતી પદ્ધતિઓ પર પેનલ ડિસ્કશન્સ, વિશ્વભરની ફિલ્મોના સ્ક્રીનિંગ અને વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને ફિલ્મ નિર્માતાઓ વચ્ચેના અનૌપચારિક વાર્તાલાપ દ્વારા Mooo Fest ઘણું ઉપયોગી થવાનું છે.
અમદાવાદની યુવતીને લગ્નના એક મહિનામાં પતિએ ફ્લેટ, થાઇલેન્ડ પ્રવાસનો ખર્ચ, અને બેંક એકાઉન્ટમાં રહેલા 32 લાખ જોઈન્ટ એકાઉન્ટમાં મુકવાની માંગ કરી શારીરિક માનસિક ત્રાસ આપી તરછોડી દેવામાં આવતા સમગ્ર મામલો મહિલા પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવ્યો છે. અમદાવાદની 30 વર્ષીય યુવતીએ મેટ્રીમોનીયલ સાઈટના માધ્યમથી લગ્ન કર્યા હતાઅમદાવાદ ચાંદખેડામાં રહેતી 30 વર્ષીય યુવતીએ મેટ્રીમોનીયલ સાઈટની પ્રોફાઇલ ઉપર એક યુવકનો બાયોડેટા જોયો હતો. બાદમાં મૂળ વડોદરાના સૂર્યભૂષણ કૃષ્ણકુમાર તિવારીએ રિકવેસ્ટ મોકલી હતી. બાદમાં બંને પક્ષના પરિવા૨ની સંમતિથી 20એપ્રિલ 2024ના રોજ તેમના લગ્ન થયા હતા. લગ્નના એક મહિનામાં વસ્તુ અને નાણાંની માગણી શરૂ કરીલગ્ન પછી યુવતી પેથાપુર ખાતે પતિ સૂર્યભૂષણ અને સાસુ સસરા સાથે લગ્ન જીવન ગાળવા આવી હતી. લગ્નના એક માસ સુધી ઘર સંસાર સારો ચાલ્યા પછી પતિ કહેવા લાગેલો કે, તારે જે ચીજ વસ્તુ જોઈતી હોય પિયરમાંથી તારા માતા-પિતાની પાસેથી મંગાવ. તારા માતા -પિતા લગ્ન બાદ થાઇલેન્ડ જવાનો ખર્ચ આપવાનુ તેમજ ફ્લેટ લઈ આપવાનુ કહેતા હતા જે હજી સુધી આપ્યું નથી. બાદમાં ઉપરોક્ત માંગણીઓ નહીં સંતોષતા સુર્યભૂષણ શારિરીક માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો. આટલું ઓછું હોય એમ તે પત્નીના બેંક એકાઉન્ટમાં પડેલા 32 લાખ રૂપિયા જોઇન્ટ એકાઉન્ટ માં મૂકી દેવા દબાણ કરતો હતો. આ મુદ્દે ઘર કંકાસ થતા સૂર્યભૂષણ પત્નીને પિયર મૂકી આવ્યો હતો. જેના એક મહિના પછી પોતાની યુજીસી નેટની પરીક્ષા પૂર્ણ થતાં પરણિતા સાસરી ગઈ હતી. એ વખતે પતિ સુર્યભૂષણે થાઇલેન્ડ ફરવા જવાનો ખર્ચાના પૈસા તુ લાવી નથી અને 32 લાખ જોઇન્ટ એકાઉન્ટમાં મુક્યા નથી. જેથી મેરેજ સર્ટિ બનાવવાનો ઇનકાર કરી આપણા લગ્ન પણ નથી થયા કહીને આત્મહત્યા કરી જુઠા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી તેણીને તરછોડી દીધી હતી. આ અંગે મહિલા પોલીસ મથકમાં પીડિતા ની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ઇતિહાસમાં પહેલીવાર બિનહરીફ સમરસ જાહેર થઈ છે. ડેરીના 15 ડિરેક્ટરની ચૂંટણીમાં તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જે ડેરીના ચૂંટણી ઇતિહાસમાં એક નોંધનીય ઘટના છે. 15 બેઠકો પર 15 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેરચૂંટણી પ્રક્રિયામાં કુલ 63 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 4 ફોર્મ રદ્દ થયા બાદ 59 ફોર્મ માન્ય રહ્યા હતા. ફોર્મ પરત ખેંચવાના આખરી દિવસે 44 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા અંતે 15 બેઠકો પર માત્ર 15 ઉમેદવારો જ મેદાનમાં રહ્યા હતા અને તેમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ઉમેદવારી પત્રકો પાછો ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતોજિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે જણાવ્યું કે, આજે મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે દૂધસાગર ડેરીના નિયામક મંડળની ચૂંટણીની જે પ્રક્રિયા ચાલતી હતી એમાં ઉમેદવારી પત્રકો પાછો ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો. આ છેલ્લા દિવસે કુલ જે પત્રકો ભરાયા હતા ઉમેદવારી પત્રકો અને પછી માન્ય થયા હતા 63 ઉમેદવારી પત્રકો ભરાયા હતા. એમાંથી 63 માંથી 15 લોકો એટલે એક સીટ પહેલા અશોકભાઈ ચૌધરી જે ચેરમેન છે હાલના એ બિનહરીફ થઇ ચૂક્યા હતા. એના સિવાયની 14 એ 14 સીટ આજે બિનહરીફ ડિરેક્ટરો નિયામક મંડળના સભ્યો ચૂંટાઈ આવ્યા છે. 63 માંથી જે લોકો ફોર્મ પાછા ખેંચ્યા એ તમામે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો. દૂધસાગર ડેરી આગળ વધે અને દૂધસાગર ડેરીની પ્રગતિ થાય, પશુપાલકોના હિત માટે સૌએ ફોર્મ પાછા ખેંચી અને આજે સમરસ બનાવી છે. સમગ્ર દૂધ ઉત્પાદક સમાજનો આજે આભાર માનું છું, સાથે સાથે અભિનંદન પણ આપું છું. વધુમાં જણાવ્યું કે મેન્ડેટ આપ્યું અને 15 લોકો આજે એ મેન્ડેટના આધારે બાકીના લોકોએ પરત ખેંચ્યા. 'આગામી પાંચ વર્ષમાં દૂધસાગર ડેરીનો વિકાસ ખૂબ સારી રીતે થશે'ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ કહ્યું કે, મેહસાણા દૂધસાગર ડેરીમાં સૌ અઢાર જિલ્લાના આગેવાનો, પશુપાલકો અને જેનો ઠરાવ થયો તો એમાં બધા જ અમારા પ્રતિનિધિઓ, બધા લોકોનો હું આભાર માનું છું કે જેમણે ભારતીય જનતા પાર્ટીની પેનલમાં વિશ્વાસ મૂકી અને બધાએ ફોર્મ ભર્યા પછી એમની વિડ્રોઅલ ફોર્મમાં સહી કરી આપી હતી. એના કારણે આજે આ સમરસ પેનલ બની છે. આખી સમરસ પેનલ બનવાના કારણે આવનારા પાંચ વર્ષમાં દૂધસાગર ડેરીનો વિકાસ ખૂબ સારી રીતે થશે. આવનારા દિવસોમાં દૂધસાગર ડેરીનો વિકાસ થાય પશુપાલકને દૂધના સારા ભાવ મળે વર્ષના અંતે સારો ભાવધારો મળે એ દિશામાં અમે કામ કરતા રહીશું. વધુમાં જણાવ્યું કે, લગભગ 60 જેટલા ફોર્મ ભરાયા હતા. બધા જ લોકો ફોર્મ ભરી અને પાર્ટીમાં વિશ્વાસ મૂકી અને બધાએ કહ્યું હતું કે જેને પસંદ કરશો એના સમર્થનમાં બાકીના લોકો ઉમેદવારી પરત ખેંચી અને આજે હું અભિનંદન આપું છું. ચૂંટાયેલા બધા લોકોને સાથે સાથે જેમને ઉમેદવારી પરત ખેંચી છે, એ લોકોએ પણ મોટું મન રાખીને જે કામ કર્યું છે એના માટે એમને પણ હું અભિનંદન આપું છું અને ખૂબ સરસ બધી જ જ્ઞાતિઓને સમાવતું ગુલદસ્તા પ્રમાણેનું આખું નિયામક મંડળ બન્યું છે.
પાટડીના જરવલા ગામે 5.23 લાખનો દારૂ ઝડપાયો:LCB એ વિદેશી અને દેશી દારૂનો મોટો જથ્થો પકડ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝરવલા ગામેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા 5.23 લાખ રૂપિયાનો ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં વિદેશી દારૂની બોટલો, બિયર ટીન અને દેશી દારૂનો સમાવેશ થાય છે. આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીના કબજા ભોગવટાવાળી ઓરડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1094 નાની-મોટી બોટલો, જેની કિંમત 4,01,100 રૂપિયા છે, તે જપ્ત કરી હતી. આ ઉપરાંત, 846 બિયર ટીન પણ મળી આવ્યા હતા, જેની કિંમત 1,13,760 રૂપિયા થાય છે. દેશી દારૂ 42 લિટર, જેની કિંમત 8,400 રૂપિયા છે, તે પણ કબજે કરવામાં આવ્યો હતો. આમ, કુલ 5,23,260 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. LCBની ટીમને દારૂ અંગે બાતમી મળી હતી જે આધારે ઝરવલા ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. આ કેસમાં પકડવાના બાકી આરોપી હર્ષદ ઠાકોર, રહે. ઝરવલા, તા. પાટડી, જી. સુરેન્દ્રનગર છે. તેની વિરુદ્ધ પાટડી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
આણંદના પધારિયા વિસ્તારમાં છેલ્લા સાત વર્ષથી ઉભરાતી ગટરની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ આજે કરમસદ-આણંદ મહાનગરપાલિકા કચેરીએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સામાજિક કાર્યકર હર્ષિલ દવેની આગેવાની હેઠળ લોકોએ ડેપ્યુટી કમિશનરની કેબિન બહાર ગટરનું ગંદુ પાણી ઢોળ્યું હતું તેમજ તેમના ટેબલ પર બંગડીઓ ફેંકી હતી. પધારિયા વિસ્તારની આશીર્વાદ સોસાયટી અને નીલગીરી સોસાયટીમાં લાંબા સમયથી ગટર ભરાઈ જવાની સમસ્યા છે. આ અંગે સ્થાનિકોએ મનપા કચેરીમાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, થોડા વર્ષો પહેલાં પધારિયા વિસ્તારમાં નવી ગટર લાઇન નાખવામાં આવી હતી. જોકે, આ લાઇન યોગ્ય સર્વે અને આયોજનના અભાવે બનાવવામાં આવી હોવાથી વારંવાર ગટર ઉભરાય છે. ગટરનું ગંદુ પાણી ઉભરાવાને કારણે સમગ્ર વિસ્તાર દુર્ગંધ અને ગંદકીથી પરેશાન છે. આનાથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો ફેલાવવાનો ભય રહેલો છે, જે બાળકો અને વડીલોના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. સ્થાનિકોએ આવેદનપત્ર દ્વારા માંગ કરી છે કે, આશીર્વાદ સોસાયટી અને નીલગીરી સોસાયટીની સમગ્ર ગટર લાઈનનો તાત્કાલિક સર્વે કરવામાં આવે. જ્યાં જરૂર હોય ત્યાં યોગ્ય આયોજન સાથે નવી ગટર લાઇનનું પુનઃનિર્માણ કરવામાં આવે અને પાણી ઉભરાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. ઉપરાંત, સ્વચ્છતા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે. અમારી સોસાયટીમાં 7 વર્ષથી ગટર ઉભરાવવાની સમસ્યા- સ્થાનિકસ્થાનિક અંજનાબેન જણાવે છે કે, અમારા વિસ્તારમાં ગટરની સુવિધા તો છે પણ છેલ્લાં 7 વર્ષથી આ ગટરના પાણી ઉભરાઈ રહ્યાં છે. જેથી અમને અવરજવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે. આ અંગે અમે વારંવાર મનપા કચેરીમાં રજૂઆતો કરી છે પરંતુ, આજદિન સુધી તંત્રના અધિકારીઓ કે કર્મચારીઓ અમારી સોસાયટીમાં ફરક્યાં જ નથી. પરમ દિવસે અમારી સોસાયટીમાં એક માજી ગુજરી ગયાં હતાં, દરમિયાન ડેડબોડી લઈ જવા માટે અમારે ત્રણ ટ્રેકટર માટી નંખાવવી પડી, જ્યાં ગટરનું છેલ્લું કનેક્શન છે ત્યાં આઉટલેટ છે જ નહીં. ડે.કમિશનર ના સ્ટાફના માણસોએ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું- હર્ષિલ દવેસામાજીક કાર્યકર હર્ષિલ દવે જણાવે છે કે, આ સત્તાધીશો જાડી ચામડીના થઈ ગયાં છે. અમે આજે રજૂઆત કરવા ગયાં તો ડે.કમિશનરના સ્ટાફના માણસોએ અમારી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. માટે અમે ડે.કમિશનરની કચેરીની બહાર ગટરનું પાણી ઢોળી, તેમજ ડે.કમિશનરને બંગડીઓ આપી વિરોધ નોંધાવ્યો હતો. આવનાર દિવસોમાં જો ગટરનું પાણી ઉભરાતું બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60 મો પદવીદાન સમારોહ કાનજી ભૂટા બારોટ રંગમંચ ખાતે તા.25 ડિસેમ્બરના નાતાલના દિવસે યોજાશે. રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અઘ્યક્ષસ્થાને યોજાનારા કોન્વોકેશનમાં ગુજરાત રાજયના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં 16 વિદ્યાશાખાના 43,900 જેટલા દિક્ષાર્થીઓને પદવીઓ આપવામાં આવશે તો રાજ્યપાલના હસ્તે 72 તેજસ્વી વિદ્યાર્થીઓને 175 ગોલ્ડ મેડલ અને 270 પ્રાઈઝ આપવામાં આવશે. દર વર્ષની જેમ આ વખતે પણ સુવર્ણચંદ્રક મેળવનારા દીકરાઓની સામે દીકરીઓની સંખ્યા વધારે છે. આ વખતના પદવીદાન સમારોહમાં 56 દિકરીઓ સામે દીકરાઓ માત્ર 16 જ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીએ દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યુ હતુ કે, રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યજીની ઉપસ્થિતિમાં 25 મી ડિસેમ્બરે 60 મો પદવીદાન સમારોહ યોજાશે. જોગાનુજોગ આ વર્ષે યુનિવર્સિટી 60 મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. 60 મા પદવીદાન સમારોહમાં કુલ 16 વિદ્યાશાખાના 72 તેજસ્વી વિદ્યાર્થીઓને 175 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે. જ્યારે 270 પ્રાઈઝ મળી કુલ 445 ગોલ્ડ મેડલ અને પ્રાઈઝ આપવામાં આવશે. જેમાં મેડિસનમાં સૌથી વધુ 79 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. સુરેન્દ્રનગરની સી. યુ. શાહ મેડિકલ કોલેજની મેડિકલ ફેકલ્ટીની MBBS ની વિદ્યાર્થિની અઘારા ધ્રુતિબેન દાતાઓ તરફથી 7 તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી 6 ગોલ્ડ મેડલ ઉપરાંત યુનિવર્સિટી તરફથી 2 પ્રાઈઝ આપવામાં આવશે. જ્યારે અમરેલીની મોંઘીબા મહિલા આર્ટસ કોલેજની બી.એ.ની નિમાવત ગાયત્રી દિલીપભાઈને દાતાઓ તરફથી 3 ગોલ્ડ મેડલ અને 7 પ્રાઈઝ જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 1 પુરસ્કાર આપવામાં આવશે. આ સાથે જ ત્રીજા ક્રમે રાજકોટ ગવર્મેન્ટ કોલેજના મેડિકલના વિદ્યાર્થી પંડ્યા પાર્થ જયેશભાઈને દાતાઓ તરફથી 3 ગોલ્ડ મેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી 1 પ્રાઈઝ આપવામાં આવશે.
બોટાદમાં કવિ બોટાદકરની જન્મજયંતિ ઉજવાઈ:અરવિંદ બારોટ સહિત આગેવાનો ઉપસ્થિત, પ્રતિમાની જાળવણી પર ચિંતા
બોટાદમાં કવિ શ્રી બોટાદકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. માતૃભાષા શિક્ષણ કેન્દ્ર-બોટાદ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આ પ્રસંગે કવિશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ ગાયક, કવિ અને ગીતકાર અરવિંદ બારોટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કવિશ્રી બોટાદકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમની સાથે માતૃભાષા શિક્ષણ કેન્દ્ર-બોટાદના સંયોજક ભાવેશભાઈ પરમાર અને અન્ય અગ્રણી આગેવાનોએ પણ ભાવવંદના કરી હતી. પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ, ગાયક અરવિંદભાઈ બારોટે પ્રતિમાની જાળવણી અને સાફ-સફાઈના અભાવ અંગે ઊંડો ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, જે કવિએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે, તેમની પ્રતિમાની યોગ્ય જાળવણી થવી અનિવાર્ય છે. બારોટે વધુમાં ઉમેર્યું હતું કે, પ્રતિમાની આસપાસની સફાઈ અને તેની દેખરેખ માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવા જોઈએ. તેમણે આ મુદ્દે વહીવટીતંત્રનું ધ્યાન દોર્યું હતું. માતૃભાષા શિક્ષણ કેન્દ્ર-બોટાદ દ્વારા કવિશ્રી બોટાદકરના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માતૃભાષાના સંવર્ધન માટે સૌને સંકલ્પબદ્ધ થવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.
ગીર પંથક, જે એશિયાઇ સિંહોનું ઘર છે, ત્યાંના ખેડૂતો હાલ એક કપરી અને ભયજનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. એક તરફ કડકડતી ઠંડી છે અને બીજી તરફ સિંહ, દીપડા, ઝરખ જેવા હિંસક પ્રાણીઓ તથા ભૂંડ, રોઝ અને હરણ જેવા પશુઓના પાક નુકસાનના ત્રાસથી ખેડૂતોની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે. પોતાના મોંઘા પાકને બચાવવા માટે આ ખેડૂતો હાથમાં માત્ર ટોર્ચ, લાકડી અને સ્વબચાવ માટેના સાધનો લઈને જીવના જોખમે રાતભર ખેતરના રખોપા (રક્ષણ) કરવા મજબૂર બન્યા છે. તેમની એકમાત્ર માંગણી છે કે, સરકાર દ્વારા ખેતરના સેઢે વિનામૂલ્યે તાર ફેન્સીંગ (વાડ) બનાવી આપીને તેમને આ બેવડા જોખમમાંથી મુક્તિ આપવામાં આવે. પેઢીઓથી કરાય છે, પણ ખેતી એટલે જીવનું જોખમઃ રમેશ કોરાટમેંદરડા તાલુકાના ડેડકયાળી ગામના ખેડૂત રમેશ કોરાટે પોતાની પીડા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે છેલ્લા ઘણા વર્ષોથી નહીં, પણ પેઢી દર પેઢીથી ખેતરમાં પાકના રખોપા કરીએ છીએ. ખેડૂત ખેતરમાં મગફળીનું બિયારણ વાવે ત્યારથી જ રખોપાનું કામ શરૂ થઈ જાય છે. સુવર, ભૂંડ, રોઝ અને હરણ જેવા પશુઓ ખેતરમાં આવીને પાકને ફેંદી નાખે છે. આ નુકસાનથી બચાવવા માટે અમે રાત-દિવસ જોયા વગર ખેતરના રખોપા કરીએ છીએ. ખેતરો ગીરની મધ્યમાં આવેલા હોવાથી હિંસક પ્રાણીઓ જેવા કે સિંહ અને દીપડાના સતત આંટાફેરા રહે છે, જેના કારણે ખેડૂતોમાં હંમેશા ભયનો માહોલ રહે છે. વધુમાં રમેશભાઈએ કહ્યું કે, જ્યારે અમે ઘરેથી ખેતરે જઈએ અને ફરી સહી સલામત પાછા ઘરે પહોંચીએ, ત્યારે જ ઘરના સભ્યોને હાશકારો થાય છે. હવે ખેતી કરવી એ જીવનું જોખમ લેવા બરાબર છે. આ પરિસ્થિતિના કારણે ખેડૂતોને પાકના ઉત્પાદનમાં પણ મોટું નુકસાન ભોગવવું પડે છે.રાતભર ઠંડીમાં ટોળું બનાવી રખોપા કરીએ છીએઃ પરસોત્તમભાઈડેડકીયાળી ગામના અન્ય એક ખેડૂત પરસોત્તમભાઈ ઢોલરીયાએ પરિસ્થિતિની ગંભીરતા સમજાવતા કહ્યું કે, ગીર વિસ્તારના ખેડૂતો માટે રાતના સમયે ખેતરમાં રખોપા કરવા એ સીધું જીવનું જોખમ છે. હિંસક પ્રાણીઓની અવરજવર અને પશુઓ દ્વારા પાકને થતું નુકસાન, આ બે મુખ્ય કારણો છે. ખેડૂતોને ડર એટલો બધો છે કે, તેઓ એકલા ખેતરે જઈ શકતા નથી. છથી સાત ખેતરના ખેડૂતો ભેગા મળીને પોતાની સાથે ટોર્ચ, લાકડી અને સ્વબચાવ માટે અન્ય હથિયારો લઈને રખોપા કરવા જવું પડે છે. ખેડૂતો મોડી રાતથી લઈને વહેલી સવાર સુધી કડકડતી ઠંડી વચ્ચે પોતાના પાકના રક્ષણ માટે જાગરણ કરે છે. પરસોત્તમભાઈએ સરકાર પાસે માંગણી કરી કે, જો ખેતરના શેઢા પર ફ્રીમાં ફેન્સીંગ વાડ બનાવી આપવામાં આવે તો ખેડૂતો ડરમુક્ત થઈને સારી રીતે ખેતી કરી શકે. ખેડૂત એકલો જાય તો હિંસક પ્રાણીઓનું જોખમ રહેઃ સંજયભાઈખેડૂત સંજયભાઈ ઢોલરીયાએ હાલની પરિસ્થિતિને ખૂબ જ કપરી ગણાવી હતી. તેમણે કહ્યું કે, અહીં એટલો ડર છે કે રાતના રખોપા કરવા જવા માટે સાતથી આઠ ખેડૂતોએ સાથે મળીને જવું પડે છે. રાત્રે 11 વાગ્યાથી લઈને સવાર સુધી બધા ખેડૂતો ભેગા થઈને વાવેલા પાકનું રક્ષણ કરે છે. જો એક કે બે ખેડૂત એકલા જાય તો હિંસક પ્રાણીઓના ડરથી જોખમ રહે છે, તેથી ટોળામાં જવું ફરજિયાત છે. ‘હિંસક પ્રાણીઓ ઘરમાંથી લોકોને શિકાર બનાવે છે’સંજયભાઈએ તાજેતરની એક ગંભીર ઘટનાને જણાવ્યું કે, બે દિવસ પહેલા ગીર ગઢડાના એક વિસ્તારમાં બે વર્ષની માસૂમ દીકરી તેના ઘરમાં રમતી હતી અને તેની માતા કામ કરતી હતી, ત્યારે સિંહે અચાનક હુમલો કરીને તેને શિકાર બનાવી હતી, જેમાં બાળકીનું મોત થયું હતું. તેમણે આતંકનો અહેસાસ કરાવતા કહ્યું કે, આવા હિંસક પ્રાણીઓ જો ઘરમાંથી લોકોને શિકાર બનાવતા હોય, તો ખેડૂતોને તો વાડીઓમાં ખુલ્લામાં રહેવું પડે છે, જેને કારણે અમારામાં ખૂબ જ ભયનો માહોલ છે. માત્ર હિંસક પ્રાણીઓ જ નહીં, પણ એકસાથે 20થી વધુ ભૂંડનું ટોળું ખેતરમાં ઘૂસીને પાકને ખેદાન-મેદાન કરી નાખે છે. આ ટોળાને હાકલા-પડકારા કરીને દૂર કરવામાં આવે છે, તે સમયે પણ પાકને મોટા પ્રમાણમાં નુકસાની થાય છે. ‘રાતના રખોપાથી સંતાનોથી દૂર રહેવાનો વારો’સંજયભાઈએ પોતાની અંગત પીડા વ્યક્ત કરતા કહ્યું કે, અમને તો એવું લાગે છે કે હવે અમારા સંતાનો પણ અમને ભૂલી જશે, કારણ કે દિવસે તે ભણવા માટે જાય છે અને રાતે અમે ખેતરના રખોપા કરવા આવી જઈએ છીએ, ત્યારે અમે તેમને મળી પણ શકતા નથી.ખેતી અને પરિવાર વચ્ચેના આ સંઘર્ષમાંથી મુક્તિ મેળવવા માટે તેમણે ભારપૂર્વક માંગણી કરી કે, સરકાર દ્વારા ખેતરના સેઢે વિના મૂલ્ય તાર ફેન્સીંગ કરી આપવામાં આવે તેવી ગીરના ખેડૂતોની આ એકમાત્ર અને મુખ્ય માંગણી છે. ફેન્સીંગ માટે સરકાર પાસે 100% સહાયની અપેક્ષાગીર પંથકના ખેડૂતોની આ વેદના એક ગંભીર મુદ્દો છે, જ્યાં વન્યજીવ સંરક્ષણ અને માનવ જીવન તથા ખેતીના રક્ષણ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. ખેડૂતોની માંગણી છે કે, હાલની મોંઘવારી અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે તેઓ ફેન્સીંગનો ખર્ચ ઉઠાવી શકે તેમ નથી. જો સરકાર દ્વારા 100 % સહાય સાથે તેમના ખેતરના સેઢા પર મજબૂત તાર ફેન્સીંગ કરી દેવામાં આવે તો રાત્રિના રખોપામાંથી મુક્તિ મળે અને હિંસક પ્રાણીઓના હુમલાનો ભય ઓછો થાય.તેમજ ભૂંડ, રોઝ, અને હરણ જેવા પશુઓથી પાકને થતું નુકસાન અટકાવી શકાય. ખેડૂતો પોતાના પાકનું પૂરું ઉત્પાદન મેળવી શકે અને પોતાના પરિવારનું સારી રીતે ભરણપોષણ કરી શકે. હાલ કડકડતી ઠંડી, ભય અને અનિશ્ચિતતાના માહોલમાં જીવી રહેલા ગીરના આ ખેડૂતોની સમસ્યા પ્રત્યે વન વિભાગ અને રાજ્ય સરકાર ક્યારે સંવેદનશીલ બનીને નક્કર પગલાં લે છે, તે જોવું રહ્યું. તેમની માંગણી સંપૂર્ણપણે વ્યાજબી અને સમયની માગ છે.
ગુજરાતના દરેક શહેરો અને ગામડામાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે અને ડ્રગ્સનું પણ વેચાણ વધી રહ્યું છે, યુવા પેઢી બરબાદ થઈ રહી છે જેથી બહેનોના ઘર ભાંગી રહ્યા છે કેટલીક માતા બહેનો વિધવા બની રહી છે કેટલાકના યુવાન દીકરાઓ મરી રહ્યા છે, તેવા આક્ષેપ સાથે આજે વડોદરા મહિલા કોંગ્રેસ દ્વારા વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાંદારૂબંધી- નશાબંધીના કાયદાનું સાચી રીતે કડકપણે અમલ, નશાના બેરોકટોક વેપલા બંધ કરવાની અને ગુજરાતનાં ભવિષ્ય એવા યુવાધનને બચાવવાની માંગ કરી હતી. આ સમયે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ હપ્તા ખોરી બંધ કરો અને દારૂના અડ્ડા બંધ કરોના સુત્રોચ્ચાર કર્યા હતા. વડોદરા મહિલા કોંગ્રેસ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં દરરોજ ક્યાંકથી લાખો રૂપિયાના ડ્રગ્સ, ચરસ કે ગાંજો પકડાયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનો કારોબાર અને હેરાફેરી બેરોકટોક થઈ રહ્યો છે. મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ સરળતાથી દારૂ મળી જાય છે. જેટલો દારૂનો જથ્થો પકડાય છે તેના કરતા 100 ઘણી ઘૂસણખોરી થાય છે. રાજ્યમાં દારૂ પકડાવવો એ સામાન્ય બાબત થઇ ગઇ છે. હવે ગુજરાતનો દરિયો કિનારો અને મેટ્રો સિટીમાં ચરસ, ડ્રગ્સ અને ગાંજા જેવા નશીલા પદાર્થોનું ચલણ વધ્યું છે. સામાન્ય બાબત બની રહી છે. રાજ્યમાં હવાઈમાર્ગ, દરિયાઈમાર્ગ, પોર્ટ જેવા માર્ગથી ગુજરાતમાં કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે. પકડાયેલ ડ્રગ્સની માત્રા હજારો કિલોમાં છે, તો પાછલા બારણે આ કાળો કારોબાર કેટલો મોટો હશે? રાજ્યમાં સરકાર પાસે ડ્રગ્સની બદીને ડામવા માટે પુરતો પોલીસ ફોર્સ પણ નથી. પાંચ વર્ષમાં ગુજરાતમાં 93691 કીલો ડ્રગ્સ, 2229 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 73163 ડ્રગ્સ પીલ્સ-ઇન્જેશન પકડાયા હતા. નશામુક્તિ અભીયાન, અવેરનેસ એક્ટીવીટી, ડ્રગ્સ અંગે જનજાગૃતિ કાર્યક્રમો માત્ર કાગળ પર હોય તેમ જણાઈ રહ્યું છે. સરકારે છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ સામે લડાઈ લડતી 75થી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ બંધ કરી દીધી છે. દારૂ અને ડ્રગ્સને કારણે ગુજરાતની બહેન દીકરીઓ વિધવા થાય છે, યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. વડોદરા મહાનગર પાલિકાના કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની રહેમ હેઠળ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત ચોપડા ઉપર રહી ગઈ છે. દારૂથી નશાના દૂષણથી કેટલાય પરિવારો વિખરાય છે ત્યારે, અમે નશાખોરી મુક્ત ગુજરાત ઇચ્છીએ છીએ અને નશાખોરી મુક્ત ગુજરાત માટે સરકાર કામ કરે. સરકાર જે બોલે છે કે, અમે બુટલેગરોને છોડતા નથી, તો એકેય બુટલેગર પકડાતો પણ નથી. સરકાર બોલે છે કે, અમારા ગુજરાતમાં દારૂ નથી વેચાતો, ડ્રગ્સ નથી આવતું, તો ટ્રકો ભરીને દારૂ અને બંદરોમાં પરથી ડ્રગ્સ આવે છે, એ બધો કોની રહેમ હેઠળ આવે છે? તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બીજા રાજ્યો સુરક્ષિત થઈ ગયા છે અને ગુજરાત એ ઉડતા પંજાબ ગયું છે, તો ઉડતા ગુજરાત બનતા રોકવાની જવાબદારી અમારી પણ છે એટલે અમે વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અમારી માંગણી એટલી જ છે કે શહેરમાં દારૂના અડ્ડા ચાલે છે, ત્યારે બાબત જોવાની જવાબદારી પોલીસ કમિશનરની છે અને એ દિશામાં કામ કરે એવી અમારી માંગણી છે.
સુરતની લાજપોર જેલમાં આરોપીઓને જમવાનું ટિફિન તથા વીઆઈપી સુવિધા આપવાના બહાને આરોપીઓના પરિવારજનો પાસે પૈસા પડાવનાર આધેડ વ્યક્તિ ઝડપાયા બાદ એક પછી એક ભોગ બનનાર વ્યક્તિઓ પોલીસ ફરિયાદ નોંધાવી રહ્યા છે. ગતરોજ પણ સુરતના કઠોદરા વિસ્તારમાં રહેતા બિલ્ડરે લસકાણા પોલીસ મથકમાં આરોપ સામે બળજબરીથી રૂપિયા 12 હજાર પડાવવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ તેમની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સચિન વિસ્તારમાં ઝડપાયેલો નકલી જેલર એવો રાજેશ ત્રિવેદી હોવાનું સામે આવ્યું છે. જેલમાં ટિફિન અને વીઆઈપી સુવિધાના નામે પૈસા પડાવતોશહેરમાં અલગ ગુનાઓમાં પોલીસના હાથે ઝડપાયા બાદ આરોપીઓને લાજપોર જેલમાં મોકલી આપવામાં આવે છે. જોકે આ દરમિયાન માસ્ટર માઈન્ડ વ્યક્તિ એનકેન પ્રકારે આરોપીઓના પરિવારજનોના મોબાઈલ નંબર મેળવી તેમને ફોન કરી જેલમાં ટિફિન આપવાનું તથા વીઆઈપી સુવિધા આપવાનું કહીને પૈસા પડાવતો હતો. આરોપી ઝડપાયા બાદ હવે તેમની વિરુદ્ધમાં એક પછી એક ગુનાઓ નોંધાઈ રહ્યા છે. કાળુ પોશીયાની એક ગુનામાં ધરપકડમૂળ રાજકોટના વતની અને ગોંડલ તાલુકાના રાવણા ગામમાં રહેતા અને સુરતના કઠોદરા વિસ્તારમાં આવેલી શાંતિ નિકેતન સોસાયટીમાં રહેતા કાળુભાઈ મગનભાઈ પોશીયા બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગતરોજ તેઓએ લસકાણા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ પોલીસ ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે ગત તારીખ 20 જુલાઈ 2025ના રોજ કાળુભાઈ મગનભાઈ પોશીયાની લસકાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનામાં ધરપકડ થઈ હતી. વીઆઈપી બેરેકમાં રાખવા માટે પૈસા આપવા પડશેઆ સમયે કાળુભાઈને લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારે અજાણ્યા વ્યક્તિ દ્વારા તેમના મિત્ર અનિલભાઈ અમરેલી અને ફોન કરી પોતાની ઓળખ જેલર તરીકે આપી હતી અને જેલમાં હાઈ સિક્યુરિટીમાં નહીં રાખવા તથા બહારના ટિફિનની સેવા માટે તથા વીઆઈપી બેરેકમાં રાખવા માટે પૈસા આપવા પડશે તેવી માંગણી કરી હતી. જો પૈસા નહીં આપો તો જેલની હાય સિક્યુરિટીમાં રાખીશ અને જેલનું ટિફિન ખાવું પડશે તેમ કહ્યું હતું. ગૂગલ પે મારફતે રૂપિયા 12000 ટ્રાન્સફર કરાવી લીધાકાળુભાઇના મિત્રની પાસે ગૂગલ પે મારફતે રૂપિયા 12000 ટ્રાન્સફર કરાવી લીધા હતા. જોકે બાદમાં કાળુભાઈ બહાર આવ્યા બાદ તેમના મિત્રએ સઘળી હકીકત જણાવી હતી. જેથી તેઓને આ વાતને જાણ થતા તેઓએ લસકાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જેલર તરીકે ઓળખ આપી પૈસા પડાવનાર સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરાશેલસકાણા પોલીસ સ્ટેશનના પી આઇ કે ચાવડાએ જણાવ્યું હતું કે, સચિન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલો નકલી જેલર રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા જ બિલ્ડર કાળુભાઈ સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ તો આરોપી રાજપુર જેલમાં બંધ છે. તેનો કબજો લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ચિંતન શિબિર માટે વંદે ભારતથી પહોંચ્યા CM વલસાડમાં યોજાઈ રહેલી 12મી ચિંતન શિબિરમાં ભાગ લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વંદે ભારતમાં બેસીને પહોંચ્યા.. આ વર્ષે સચિવો અને વરિષ્ઠ અધિકારીઓ સરકારી વાહનને બદલે વંદે ભારતમાં બેસીને જ પહોંચ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો કેન્દ્ર સરકાર કરશે 20 હજાર કરોડની સહાય ગુજરાતમાં હાઈવેની મરમ્મત અને એક્પાન્શન માટે કેન્દ્ર સરકાર આપશે 20 હજાર કરોડ રુ.ની સહાય.. સુરતમાં નેશનલ હાઈવેના નિરીક્ષણ માટે આવેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ અંગે જાહેરાત કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો મેવાણીના સમર્થનમાં રાજકોટમાં રેલી નીકળી પોલીસના પટ્ટા ઉતારવાના નિવેદન મામલે આજે રાજકોટમાં જીગ્રેશ મેવાણીના સમર્થનમાં રેલી નીકળી. રેલીમાં આક્ષેપ કરાયો કે 8 પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવી મેવાણીના અવાજને દબાવવા માટે પોલીસ અને બુટલેગરો મારફત રજૂઆતો કરાવે છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો શહેરના ગેટ વે સમાન બ્રિજ નશાખોરોનો અડ્ડો સુરતનો સરથાણા બ્રિજ બન્યો ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અડ્ડો. બ્રિજ નીચે 10 વર્ષનો છોકરો ખાટલામાં સૂતા સૂતા ગાંજો વેચતો કેમેરામાં કેદ થયો. તો બ્રિજ નીચે મહિલાઓ સહિત કેટલાક શખ્સો જુગાર રમતા હતા.. ધારાસભ્ય કુમાર કાનાણીએ વર્ષોથી ચાલતા ન્યુસન્સ પર કાર્યવાહી કરવા પત્ર લખ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો મોકા કેફેમાં રોટલીના બાસ્કેટમાંથી નીકળ્યા જીવડાં અમદાવાદના સીજી રોડ પર આવેલા મોકા કેફેમાં રોટલીના બાસ્કેટમાંથી જીવડા નીકળ્યા..AMCના ફૂડ વિભાગે કેફેમાં તપાસ કરી સ્વચ્છતાના અભાવ બદલ રુ 25,000નો દંડ ફટકાર્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરોત્રણ કાર અને એક રિક્ષાને આગચંપી કરી દીધી વડોદરાના વારસિયા વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે કેટલાક લોકોએ ત્રણ કાર અને રિક્ષા સળગાવી. સાંઈબાબા નગરના ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલી થારને આગ ચાંપતા બાજુમાં પડેલી વેન્યુ અને ટ્રીબર પણ ઝપેટમાં આવી. તો અંજલિ સોસાયટીમાં રિક્ષા સળગાવી દીધી. પોલીસે બુટલેગર્સના ગેંગવોરમાં ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો 200થી વધુ BLOએ મેપિંગની પ્રક્રિયા સામે ધરણાં કર્યા અમદાવાદમાં કે.કા. શાસ્ત્રી કોલેજમાં અમરાઈવાડી વિસ્તારના 200થી વધુ બીએલઓએ ધરણાં કર્યા. મેપિંગની પ્રક્રિયાને લઈને અધિકારીઓ સતત દબાણ કરતા હોવાને લઈને આજે ધરણાં કરવામાં આવ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસના દરોડા અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલા સ્પામાં પોલીસે દરોડા પાડ્યા. છેલ્લા બે દિવસમાં બોપલ-આંબલી રોડ, એલિસબ્રિજ અને આનંદનગરના ત્રણ અલગ-અલગ સ્પા પર દરોડા પાડીને કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી યથાવત આજે સતત બીજા દિવસે ભાવનગરમાં ડિમોલિશનની કાર્યવાહી. ફૂલસરમાં 70થી વધુ કાચા-પાકા મકાનો અને 3 ધાર્મિક સ્થાનો સહિતના ગેરકાયદે દબાણો દૂર કરી 60 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો રેની જોશીલ્ડાના જામીન મંજૂર અમદાવાદમાં હાઈકોર્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ , સહિત અલગ અલગ સ્કૂલ્સને બોમ્બથી ઉડાવી દેનાર રેની જોશીલ્ડાને હાઈકોર્ટે જામીન આપ્યા. હાઈકોર્ટે કહ્યું કે તે પર્સનલ સંબંધોને લઈને ડિસ્ટર્બ વ્યક્તિ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના હિંમતનગરને જોડતા નારોલ-નરોડા હાઇવે પર કૃષ્ણનગરથી નરોડા ગેલેક્સી સુધીના 2.5 કિલોમીટર સુધીના અમદાવાદના સૌથી લાંબા ઓવરબ્રિજની કામગીરી ફરી ઝડપી બનશે. ઓવરબ્રિજ બનાવવાની કામગીરીમાં નડતરરૂપ ફોરેસ્ટ વિભાગની જમીન પરના વૃક્ષો દૂર કરવાના કારણે કામગીરી અટકી પડી હતી. 146 વૃક્ષો દૂર કરી તેના માટે હાથીજણ અને ઓઢવ વિસ્તારમાં આવેલા 12 જેટલા પ્લોટની કુલ 13.42 હેક્ટર જમીન ફાળવવાનો નિર્ણય આજે સ્ટેન્ડિંગ કમિટી લેવામાં આવ્યો છે. જોકે જંગલની જમીન આપવાના નિર્ણયના કારણે છ મહિના કામને અસર રહેતા બ્રિજ મોડો બનશે. આ બ્રિજથી 10 લાખથી વધારે વાહનચાલકોને ફાયદોસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, નરોડા સ્મશાનથી રિંગ રોડ તરફ જવાના રોડ પર પણ ફોરેસ્ટ વિભાગના 46 વૃક્ષો દૂર કરવા માટે ઇસનપુર વિસ્તારમાં આવેલા બે પ્લોટ પણ ફાળવવામાં આવશે. કુલ 13.72 હેક્ટર જેટલી જમીન ફોરેસ્ટ વિભાગને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવશે. આ બ્રિજ બનવાના કારણે 10 લાખથી વધારે વાહનચાલકોને ફાયદો થશે. છેલ્લા 10 મહિનાથી જમીન ફાળવવા કોઈ નિર્ણય ન લેવાયોઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાખો રૂપિયાનો પગાર લેતા અધિકારીઓને કન્સલ્ટન્ટની ભૂલના કારણે અમદાવાદના સૌથી લાંબા ઓવરબ્રિજની કામગીરીમાં નડતરરૂપ 146 જેટલા વૃક્ષો જે જંગલ ખાતાની જમીન પર આવેલા હતા. જેને દૂર નહીં કરવા જંગલ ખાતા દ્વારા પરવાનગી આપવામાં આવી નહોતી. જંગલ ખાતા દ્વારા અન્ય જગ્યાએ પ્લોટ ફાળવવા માટેની માંગણી કરવામાં આવી હતી. છેલ્લા 10 મહિનાથી મ્યુનિસિપલ કોર્પોરેશન અને જંગલ ખાતા દ્વારા જમીન ફાળવવાને લઈને કોઈ નિર્ણય કરવામાં આવ્યો નહોતો. જેના કારણે નરોડા રેલવે ઓવરબ્રિજની કામગીરી અટકી પડી હતી. કૃષ્ણનગરથી લઈને નરોડા પાટિયા સુધી અને પાટીયાથી બેઠક અને ગેલેક્સી તરફ ઓવરબ્રિજની અડધી કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી. જોકે, વૃક્ષોના કારણે કામગીરી બંધ થઈ ગઈ હતી. 10 પ્લોટની 13.42 હેક્ટર જમીન ફાળવવાનો નિર્ણય લેવાયોસૌથી લાંબા અને વ્યસ્ત હાઇવે ઉપર બની રહેલા ઓવરબ્રિજની કામગીરી બંધ થવાના કારણે નાગરિકોને અલગ અલગ રોડ પરથી પસાર થવું પડી રહ્યું છે અને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના હાથીજણ 3, હાથીજણ-રોપડા અને ઓઢવ ટીપી સ્કીમમાં આવેલા 10 જેટલા પ્લોટની 13.42 હેક્ટર જમીન ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાથીજણના તમામ પ્લોટ બગીચા હેતુ માટે અને ઓઢવના સ્કૂલ અને સેલ ફોર રેસિડેન્સિયલ માટેના પ્લોટ ફાળવવામાં આવશે. નરોડા સ્મશાનથી રિંગરોડ સુધી આઇકોનિક રોડ બનાવાઈ રહ્યો છેશહેરના નરોડા સ્મશાનથી રિંગરોડ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઇકોનિક રોડ બનાવવામાં આવી રહ્યો છે જેમાં 46 જેટલા વૃક્ષો જંગલ ખાતાની જમીન પર આવેલા છે જેને લઈને પણ જંગલ વિભાગ દ્વારા આ વૃક્ષો દૂર કરવા માટે જમીન માંગવામાં આવી હતી જેના માટે ઇસનપુર વેસ્ટ ટીપી સ્કીમના કુલ 13086 ચોરસ મીટરના બે પ્લોટ આપવા માટેનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
ભુજમાં ગીતા જયંતિ મહોત્સવની તૈયારીઓ શરૂ:1 ડિસેમ્બરે ભવ્ય ઉજવણી, ગીતા ગ્રંથ યાત્રાનું આયોજન
ભુજમાં અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર અને આર્ષ અધ્યયન કેન્દ્ર દ્વારા ભગવદ્ ગીતા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. આર્ષ અધ્યયન કેન્દ્ર છેલ્લા 20 વર્ષથી ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. આ વર્ષે 1 ડિસેમ્બર, માગશર સુદ એકાદશીના રોજ ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવશે. કેન્દ્રના સંત પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે, આ મહોત્સવ કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત આટલા મોટા પાયે આયોજિત થઈ રહ્યો છે. ઉજવણીના ભાગરૂપે વ્યક્તિત્વ વિકાસ, માનસિક શાંતિ અને ગીતા ગ્રંથની ઉપયુક્તતા પર ભાર મૂકવામાં આવશે. ગીતા જયંતિના પૂર્વ દિવસે, 30 નવેમ્બરે બપોરે 3:30 કલાકે રામધૂન મંદિરથી ટાઉનહોલ સુધી એક ભવ્ય ગીતા ગ્રંથ યાત્રા નીકળશે. આ યાત્રામાં કચ્છ જિલ્લાના દસ તાલુકાઓમાંથી સનાતન હિન્દુ જ્ઞાતિઓના પ્રમુખો, મહિલા મંડળના પ્રમુખ અને કારોબારી સભ્યો જોડાશે. નાના બાળકોથી લઈને વડીલો સુધીના ધર્મપ્રેમી ભાઈ-બહેનો ઉત્સાહભેર ભાગ લેશે. યાત્રા બાદ ટાઉનહોલ ખાતે સર્વ હિન્દુ સમાજના પ્રમુખોનું સન્માન કચ્છના વિવિધ તાલુકાઓમાંથી પધારેલા સાધુ-સંતો અને મહંતોના હસ્તે કરવામાં આવશે. ત્યારબાદ પૂજ્ય સ્વામીજી દ્વારા ભગવદ્ ગીતા પર મનનીય પ્રવચન આપવામાં આવશે. કાર્યક્રમના અંતે, સનાતન હિન્દુ સમાજના અઢાર વર્ણોના ભાઈ-બહેનો એક સાથે મહાપ્રસાદનો લાભ લેશે. ગીતા જયંતિના મુખ્ય દિવસે, 1 ડિસેમ્બરે બપોરે 3:30 થી 6 વાગ્યા સુધી ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયનું પારાયણ એક સાથે કરવામાં આવશે. આ ઉપરાંત, 1 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર સુધી દરરોજ સાંજે 5 થી 6:30 વાગ્યા દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ સમયગાળા દરમિયાન, સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી દ્વારા ભગવદ્ ગીતાના અધ્યાય-2 'સાંખ્યયોગ'માં સ્થિતપ્રજ્ઞના લક્ષણો (લાઇફ મેનેજમેન્ટ સેમિનાર) પર પ્રવચનો આપવામાં આવશે. ડો. શરદ ઠાકર અને હાસ્ય કલાકાર તથા સાહિત્યકાર ડો. જગદીશ ત્રિવેદી જેવા વક્તાઓ ધાર્મિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રધર્મને લગતા વિષયો પર વક્તવ્ય આપશે, સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આર્ષ અધ્યયન કેન્દ્ર-ભુજ દ્વારા ભુજની ધર્મપ્રેમી જનતાને આ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

27 C