SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

ડેપ્યુટી CM સહિત કેબિનેટ મંત્રીઓના અંગત સ્ટાફ માટે નિમણૂક જાહેર:પર્સનલ સેક્રેટરી, એડિ. પર્સનલ સેક્રેટરી અને PA માટે અધિકારીઓની ભરતી કરાશે

રાજ્ય સરકારે મંત્રીમંડળની કાર્યક્ષમતા વધારવા અને વહીવટી કામગીરીને વધુ ઝડપી બનાવવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ કેબિનેટ મંત્રીઓના અંગત સ્ટાફ માટે મહત્વની નિમણૂકો કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ PS (પર્સનલ સેક્રેટરી), એડિશનલ PS (એડિશનલ પર્સનલ સેક્રેટરી) અને PA (પર્સનલ અસિસ્ટન્ટ)ના પદો પર નવા અધિકારી-કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી અમલમાં મુકાઈ છે. કામગીરીને વધુ મજબૂત અને અસરકારક બનાવવા નિર્ણય લેવાયોસરકારના જણાવ્યા મુજબ આ પગલું મંત્રીઓની દૈનિક કામગીરીમાં સંકલન મજબૂત કરવા, નિર્ણય પ્રક્રિયાને ઝડપી બનાવવા અને વહીવટી કાર્યોમાં શિસ્ત તથા કાર્યક્ષમતા લાવવા માટે લેવામાં આવ્યું છે. આ નિમણૂક પામેલા અધિકારીઓ-કર્મચારીઓએ તાત્કાલિક કાર્યભાર સંભાળવાનો રહેશે. આ પહેલાં પણ સરકાર સમયાંતરે મંત્રીઓની કચેરીઓમાં જરૂરી વહીવટી સહાયતા પૂરી પાડવા આવા પદો પર ભરતી કરતી રહી છે. આ વખતની નવી ભરતીથી મંત્રાલયોની કામગીરીમાં વધુ ઝડપ અને પારદર્શિતા આવવવાની અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 10:49 pm

દહેગામમાં માતાએ પાપ છુપાવવા નવજાતને તરછોડ્યું:નિ:સંતાન દંપતીએ દેવદૂત બની હોસ્પિટલ ખસેડી નવજીવન આપ્યું

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં મમતાને લજવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાસણા-હરસોલી રોડ ઉપર એક નિષ્ઠુર માતાએ પોતાનું પાપ છુપાવવા માટે નવજાત બાળકને તરછોડી દેતાં લોકોમાં ફિટકારની લાગણી વરસી રહી છે. જોકે દહેગામના ગણેશપુરા ગામના એક નિઃસંતાન દંપતીએ આ બાળકના દેવદૂત બની સમયસર મદદ કરી તેને નવજીવન આપી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવ્યા છે. નવજાત બાળક જીવન-મરણના જોલા ખાતું મળ્યુંપ્રાપ્ત વિગતો અનુસાર, આજે દહેગામના ગણેશપુરા ગામના મોહનસિંહ રાઠોડ વાસણા-હરસોલી રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ નજીકની ઝાડીમાં લઘુશંકા અર્થે ગયા હતા. ત્યારે અચાનક જ તેમને નાના બાળકનો રડવાનો અવાજ આવ્યો હતો. આથી કુતૂહલવશ તેમણે વનરાજી વિસ્તારમાં તપાસ કરતાં એક ગોદડીમાં લપેટેલું નવજાત બાળક જીવન-મરણના જોલા ખાઈ રહ્યું હતું. માનવતા દાખવી બાળકને પોતાના ઘરે લઈ ગયાઆ દ્રશ્ય જોઈને નિઃસંતાન મોહનસિંગ આશ્ચર્યચકિત થઈ હચમચી ઊઠ્યા ગયા હતાં. તેમણે પળવારમાં જ નવજાત બાળકને તેડી લીધું હતું અને આસપાસના વિસ્તારમાં નિષ્ઠુર જનેતાની શોધખોળ આદરી હતી. પરંતુ નિષ્ઠુર માતાનો કોઈ પત્તો લાગ્યો નહોતો. જોકે બાળક માતાની હૂંફ વિના સતત રડી રહ્યું હોવાથી મોહનસિંગે માનવતા દાખવી તેને લઈને તુરંત પોતાના ઘરે ગયા હતા. દંપતી બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયાજ્યાં મોહનસિંગની પત્નીએ પણ બાળકની સંભાળ લીધી હતી. બાદમાં દંપતી તાત્કાલિક રિક્ષામાં નવજાત શિશુને દહેગામની જાણીતી પ્રથમ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જોકે મોહનસિંગના કહેવા મુજબ જાણીતી પ્રથમ હોસ્પિટલ દ્વારા બાળક માટે જગ્યા નહીં હોવાનું કહીને તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ જવાની સલાહ આપવામાં આવી હતી. ડોક્ટરોએ તાત્કાલિક સારવાર શરૂ કરીઆથી નિઃસંતાન દંપતીએ પળનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી અને 108 એમ્બ્યુલન્સ મારફતે દંપતી નવજાત શિશુને લઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે આવી પહોંચ્યું હતું. અહીં ફરજ પરના ડોક્ટરોએ તાત્કાલિક સારવાર શરૂ કરીને હાલમાં બાળકને સઘન સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે બાળકની માતાને શોધી કાઢવા તપાસ હાથ ધરીઆ બનાવની જાણ થતાં દહેગામ પોલીસે પણ નિષ્ઠુર માતાને શોધવા માટે ઘનિષ્ઠ તપાસનો દોર હાથ ધર્યો છે. પોલીસે બાળકની માતાને શોધી કાઢવા માટે આસપાસના વિસ્તારમાં પૂછપરછ અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 10:21 pm

ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેન્સલ થતાં રેલવેની તૈયારી:રેલવે દ્વારા મુસાફરોની મુસાફરીની સરળ બનાવવા માટે 37 ટ્રેનોમાં 116 વધારાના કોચ તૈનાત, જુઓ આખું લિસ્ટ

ઈન્ડિગોની ફ્લાઇટ રદ થવા વચ્ચે રેલવેએ મુસાફરોની મુસાફરી સરળ બનાવવા માટે 37 ટ્રેનોમાં 116 વધારાના કોચ તૈનાત કર્યા છે. ભારતીય રેલ્વેએ વધારાના કોચ દોડાવવા નિર્ણય લીધો છે. ઈન્ડિગોની ફ્લાઇટ રદ થયા પછી મુસાફરોની માંગમાં વધારો થવા વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. દેશભરમાં 114 થી વધુ ટ્રિપ્સનું સંચાલન કરે છેભારતીય રેલ્વેએ સરળ મુસાફરી અને સમગ્ર નેટવર્કમાં રહેવાની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે 37 ટ્રેનોમાં 116 વધારાના કોચનો વધારો કર્યો છે. વ્યાપક ઇન્ડિગો ફ્લાઇટ રદ થયા પછી મુસાફરોની માંગમાં વધારો થયો છે. રાષ્ટ્રીય પરિવહન કંપનીએ 116 વધારાના કોચ સાથે 37 ટ્રેનોમાં વધારો કર્યો છે, જે દેશભરમાં 114 થી વધુ ટ્રિપ્સનું સંચાલન કરે છે. 18 ટ્રેનોમાં ક્ષમતા વધારી દક્ષિણ રેલ્વે એ સૌથી વધુ સંખ્યામાં વધારો કર્યો છે, 18 ટ્રેનોમાં ક્ષમતા વધારી છે. ઉચ્ચ માંગવાળા રૂટ પર વધારાના ચેર કાર અને સ્લીપર ક્લાસ કોચ તૈનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ, ઉત્તર રેલ્વેએ આઠ ટ્રેનોમાં 3AC અને ચેર કાર ક્લાસના વધારાના કોચ ઉમેર્યા છે. આજથી અમલમાં મુકાયેલા આ પગલાંથી ભારે મુસાફરી કરતા ઉત્તરીય કોરિડોર પર ઉપલબ્ધતામાં વધારો થયો છે, એમ તેમાં જણાવાયું છે. 2AC કોચ સાથે રાજેન્દ્ર નગર-નવી દિલ્હી સેવાને મજબૂત બનાવીપશ્ચિમ રેલ્વેએ 3AC અને 2AC કોચ ઉમેરીને ચાર ઉચ્ચ માંગવાળી ટ્રેનોમાં વધારો કર્યો છે. 6 ડિસેમ્બર 2025 થી અમલમાં આવનારા આ વધારા, પશ્ચિમી પ્રદેશોથી રાષ્ટ્રીય રાજધાની સુધીના મજબૂત મુસાફરોની અવરજવરને પૂરી પાડે છે. પૂર્વ મધ્ય રેલ્વેએ 6-10 ડિસેમ્બર 2025 વચ્ચે પાંચ ટ્રીપમાં વધારાના 2AC કોચ સાથે રાજેન્દ્ર નગર-નવી દિલ્હી (12309) સેવાને મજબૂત બનાવી છે, જે આ મહત્વપૂર્ણ બિહાર-દિલ્હી સેક્ટર પર ક્ષમતામાં વધારો કરે છે. ઓડિશા અને રાજધાની વચ્ચે જોડાણમાં સુધારો થયોપૂર્વ કોસ્ટ રેલ્વે એ ભુવનેશ્વર-નવી દિલ્હી સેવાઓ (ટ્રેન 20817/20811/20823) માં પાંચ ટ્રીપમાં 2AC કોચ ઉમેરીને વધારો કર્યો છે, જેનાથી ઓડિશા અને રાજધાની વચ્ચે જોડાણમાં સુધારો થયો છે. પૂર્વીય રેલ્વેએ ત્રણ મુખ્ય ટ્રેનોમાં વધારાનો અમલ કર્યો છે, 7-8 ડિસેમ્બર 2025 ના રોજ છ ટ્રીપમાં સ્લીપર ક્લાસ કોચ ઉમેરીને, પૂર્વમાં વધેલી પ્રાદેશિક અને આંતર-રાજ્ય મુસાફરી માંગને પૂર્ણ કરી છે. ઉત્તરપૂર્વ સરહદી રેલ્વેએ 6-13 ડિસેમ્બર 2025 દરમિયાન આઠ ટ્રીપમાં 3AC અને સ્લીપર કોચ ધરાવતી બે મહત્વપૂર્ણ ટ્રેનોમાં વધારો કર્યો છે, જે ઉત્તરપૂર્વમાં મુસાફરો માટે અવિરત ક્ષમતા સુનિશ્ચિત કરે છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 10:15 pm

ઇન્ડિગોની ફ્લાઈટ કેન્સલ થતાં અમદાવાદથી દિલ્હી જતાં મુસાફરોને ફાયદો થશે:પશ્ચિમ રેલવે સાબરમતીથી દિલ્હી વચ્ચે ઓન-ડિમાન્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવશે

અમદાવાદ–દિલ્હી કરિડોર પર ઇન્ડિગો એરલાઇન્સની અનેક ફ્લાઇટ્સ રદ્દ થવાથી મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. હવાઈ મુસાફરી રદ્દ થવાને કારણે મોટી સંખ્યામાં લોકો વિકલ્પિક મુસાફરીની શોધમાં હતા. આ વધતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ અમદાવાદના સાબરમતી સ્ટેશનથી દિલ્હી જંક્શન વચ્ચે ખાસ ઓન-ડિમાન્ડ (TOD) સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદથી દિલ્હી જતા મુસાફરોને ફાયદો થશેઆ સ્પેશિયલ ટ્રેન મુસાફરોને સમયસર મુસાફરી પૂરી પાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી ફ્લાઇટ કેન્સલેશન જેવી પરિસ્થિતિમાં લોકોની મુશ્કેલી ઓછી થાય. મુસાફરોની વાસ્તવિક માંગ અનુસાર આ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે, જે અમદાવાદ–દિલ્હી રૂટ પર મુસાફરી કરતા નાગરિકો માટે ખૂબ ફાયદાકારક થશે. જોકે. આ સ્પેશિયલ ટ્રેનની તારીખ અને સમય નક્કી કરતા જણાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 10:12 pm

પોરબંદર ARTO કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રહેશે:6 થી 12 ડિસેમ્બર સુધી મોડર્નાઇઝેશન અને રિપેરિંગ કાર્યને કારણે બંધ રાખવા નિર્ણય

પોરબંદર ARTO કચેરી ખાતે 6 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર, 2025 સુધી ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બંધ રહેશે. કચેરી દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકના આધુનિકીકરણ અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન, ડ્રાઇવિંગ લાયસન્સ માટેના તમામ પ્રકારના ડ્રાઇવિંગ ટેસ્ટ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવશે.જે અરજદારોની ડ્રાઇવિંગ ટેસ્ટની તારીખ આ સમયગાળામાં નિર્ધારિત કરવામાં આવી હતી, તેમની એપોઇન્ટમેન્ટ ફરીથી ગોઠવીને નવી તારીખ આપવામાં આવશે.મોટરિંગ જાહેર જનતા અને અરજદારોને આ પ્રક્રિયામાં સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે. વધુ માહિતી અને અપડેટ્સ માટે કચેરીના સત્તાવાર માધ્યમોનો સંપર્ક સાધવા જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 10:12 pm

બે દિવસમાં દારૂ સાથે કરોડોનો મુદ્દામાલ ઝડપાયો:LCBએ બે દિવસમાં પોણા કરોડથી વધુનો દારૂ પકડી પાડ્યો, ક્રાઇમ બ્રાન્ચે લાખોના મુદ્દામાલ સાથે ચાર આરોપીની કરી ધરપકડ

જુનાગઢ જિલ્લામાં દારૂ નિરાફેરીને ડામવા જુનાગઢ એલસીબી સક્રિય બની છે ત્યારે જુનાગઢ એલસીબીએ બે દિવસમાં પોણા કરોડના દારૂ સાથે કરોડો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂની બદીને ડામવા માટે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે શીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોરબંદર-માંગરોળ હાઇવે નજીક આવેલ GIDC વિસ્તારના ગણેશ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે દારુના જથ્થા સાથે 4 આરોપીઓને ઝડપ્યાદરોડા દરમિયા ગોડાઉનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 13,800 નંગ બોટલ અને બીઅરનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ₹ 29,61,840/- થવા જાય છે. પોલીસે આ દારૂના જથ્થા સાથે ચાર આરોપીઓ – હરેશ રામજીભાઈ પંડિત (ઉં.વ. 24), અતુલ કિર્તીભાઈ ચુડાસમા (ઉં.વ. 25), પંકજ અરજણભાઇ સેવરા (ઉં.વ. 18), અને જયપાલસિંહ જશુભા ચુડાસમા (ઉં.વ. 35) ને ઝડપી પાડ્યા હતા. ટ્રેક્ટર-ટ્રોલી મળીને કુલ ₹49,41,840/ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યોઆ આરોપીઓ દારૂનું કટિંગ કરી રહ્યા હતા. પોલીસે દારૂ ઉપરાંત ₹1,30,000/-ના 7 નંગ મોબાઇલ ફોન, ₹15,00,000/-ની 1 ફોર વ્હીલ ગાડી, ₹50,000/-નું 1 એક્ટિવા મોટરસાયકલ અને ₹3,00,000/-નું 1 ટ્રેક્ટર-ટ્રોલી મળીને કુલ ₹49,41,840/ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દારૂનો જથ્થો ચોરવાડના સચિન ભીખા ચુડાસમા, હેમાંગ ભદ્રેશ પાઠક અને વિશાલ બચુ ચુડાસમાએ જૂનાગઢના રવિ હમીર ભારાઈ મારફતે બહારના રાજ્યમાંથી મંગાવ્યો હોવાનું ખુલ્યું છે, જે તમામ ચાર આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે. આ સમગ્ર કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ એમ. પટેલ અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી​જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની આ સફળતા, જેણે એક જ ગોડાઉનમાંથી ₹29.61 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે, તેની સામે માંગરોળ વિસ્તારમાં પ્રોહીબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ કેટલી હદે વ્યાપેલી છે તે સવાલ ઊભો થયો છે. ખાસ કરીને, આ દરોડાના એક દિવસ પહેલા પણ એલસીબી દ્વારા આજ માંગરોળ નજીકથી એક ટ્રકની તપાસ કરતાં તેમાંથી વિવિધ બ્રાન્ડના ₹48,90,000/- લાખનો દારૂ અને ટ્રક મળીને ₹69 લાખથી વધુનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો. આમ જૂનાગઢ જિલ્લાના માંગરોળ જેવા એક જ તાલુકા વિસ્તારમાંથી માત્ર 48 કલાકના ગાળામાં ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી દ્વારા કુલ ₹78 લાખથી વધુની કિંમતનો પ્રોહી. મુદ્દામાલ પકડવામાં આવ્યો છે. આટલો મોટો દારૂનો જથ્થો સ્થાનિક શીલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આટલા મોટા પાયે કેવી રીતે સંગ્રહિત થઈ શક્યો, અને તેનું કટિંગ કેવી રીતે ચાલુ રહ્યું હતું આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ​ઝડપાયેલા ચાર આરોપીઓ ઉપરાંત પોલીસે દારૂ મંગાવવાના મુખ્ય સૂત્રધાર ગણાતા ચાર વોન્ટેડ આરોપીઓ – રવિ હમીરભાઈ ભારાઈ (જૂનાગઢ), હેમાંગ ભદ્રેશભાઈ પાઠક (ચોરવાડ), સચિન ભીખાભાઈ ચુડાસમા (ચોરવાડ), અને વિશાલ બચુભાઇ ચુડાસમા (ચોરવાડ) – ને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જૂનાગઢ રેન્જ પોલીસ વડાની સૂચના મુજબ, આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો પર કડક ઘોંસ બોલાવીને પ્રોહીબિશનની બદીને સંપૂર્ણપણે ડામી દેવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાયમી ધોરણે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.આ દરોડાની કાર્યવાહીમાં ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. કૃણાલ એમ. પટેલ, પી.એસ.આઈ. ડી.કે. સરવૈયા સહિત વિજયભાઈ બડવા, જગદીશભાઈ ગરચર, વનરાજસિંહ ચુડાસમા, જાદવભાઇ સુવા, પૃથ્વીરાજ વાળા, જેઠાભાઈ કોડીયાતર, અજયસિંહ ચુડાસમા, પૃથ્વીરાજસિંહ રાયજાદા અને બાબુભાઈ કોડીયાતર જેવા અધિકારીઓ અને કર્મચારીઓએ સફળ કામગીરી કરી છે. આ કાર્યવાહીથી પ્રોહીબિશનની પ્રવૃત્તિમાં સંકળાયેલા અન્ય બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 10:08 pm

ગીર સોમનાથ કલેક્ટરની રાત્રીસભામાં ગ્રામજનોનો લોકસંપર્ક:બરડામાં ફૂટપાથ માટે ₹1 લાખ મંજૂર, વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરાયું

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના બરડા ગામે કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં કલેક્ટરે ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી ગામની સમસ્યાઓ સાંભળી અને સંબંધિત વિભાગોને તાત્કાલિક કાર્યવાહી માટે માર્ગદર્શન આપ્યું હતું. સભા દરમિયાન, ગ્રામજનોએ ફૂટપાથના નિર્માણ અંગે રજૂઆત કરી હતી. કલેક્ટરે તાત્કાલિક ધોરણે રૂ. 1 લાખની મંજૂરી આપતા ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ હતી અને તેમના નિર્ણયને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યો હતો. ગ્રામજનો દ્વારા ગામતળ-સીમ તળના પ્રશ્નો, ગામતળના પ્લોટ માપણી, બરડા બંધારાના સમારકામ, નદીનું પાણી અટકાવવા સુરક્ષા દિવાલ અને રેશનકાર્ડ સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટરે આ તમામ પ્રશ્નોના ઝડપી નિવારણ માટે સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. કલેક્ટરે આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોની સ્થિતિ અને કુપોષિત બાળકોના આરોગ્ય તથા પોષણ અંગે વિગતવાર જાણકારી મેળવી હતી. તેમણે મતદાર સુધારણા કાર્યક્રમ અને પાક નુકસાન સહાય માટે ફોર્મ ભરાવવાની પ્રક્રિયા અંગે પણ પૂછપરછ કરી હતી. આ ઉપરાંત, કલેક્ટરે આયુષ્માન ભારત યોજનાની વિગતો ગ્રામજનોને આપી હતી. તેમણે આરોગ્ય વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી કે કોઈ પણ ગ્રામજન આયુષ્માન કાર્ડ વગર રહી ન જાય તે સુનિશ્ચિત કરવામાં આવે. આ રાત્રીસભામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી કે.આર. પરમાર, કોડીનાર મામલતદાર એસ.કે. ભાસ્કર તેમજ ખેતીવાડી, આરોગ્ય, માર્ગ અને મકાન (પંચાયત), સિંચાઈ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 9:42 pm

વિઝા બનાવી આપવાના નામે ઠગાઈ:વડોદરામાં યુવકને વિદેશના વિઝા બનાવી આપવાનું કહી એજન્ટે રૂપિયા 26.50 લાખ પડાવ્યા, એજન્ટે આપેલા જોબ માટેના કોલ લેટર પર બોગસ નીકળ્યા

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર હરિયાળી હોટલ પાસે રહેતા યુવકને વિદેશના વિઝા બનાવી આપવાનું કહીને એજન્ટ રૂપિયા 26.50 લાખ ટુકડે ટુકડે રોકડા પડાવી લીધા હતા. એજન્ટે આપેલા જોબ માટેના કોલ લેટર પર બોગસ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી યુવકે રૂપિયા પરત માગતા ઠગે ચાર ચેક લખી આપ્યાં હતા જે બેન્કમાં ડિપોઝીટ કરાવતા રિટર્ન થયાં હતા. જેથી યુવકે ઠગ એજન્ટ વિરુદ્ધ છેતરપિંડની ફરિયાદ નોધાવી છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી હરિયાળી હોટલ પાસે સોમેશ્વર સોસાયટીમાં રહેતા વૃષાંગ રમેશ રાજે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, હુ ગેંડા સર્કલ પાસે આવેલી પેટન્સ હાયરીંગ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરુ છુ. વર્ષ 2024માં મારે વિદેશ જવું હતું અને અમારી બાજુમાં રહેતા મેરીક પ્રકાશ દરજી લંડન ખાતે રહેતા હોય ઘરે આવ્યો હતો. જેથી મેરીકભાઈને વાત કરતા તેમની સાથે લંડન ખાતે રહેતા રોનકભાઈ પટેલ સાથે વાત કરતા રોનકભાઈએ તેમના મિત્ર વૈભવ દિનેશકુમાર પટેલને મળવાનુ જણાવ્યું હતુ. 2 મેના રોજ હું અને નંદાબેન માધવભાઈ પરમાર, મેરીકભાઇ, મારા ફુવા મહેન્દ્રકુમાર છગનલાલ વિદ્યાર્થી તેમજ ફોઇ ભારતીબેન વિદ્યાર્થી વૈભવ દિનેશભાઇ પટેલની માંજલપુર સ્પોર્ટ કોમ્પલેક્ષ પાસે આવેલ વિઝા કન્સ્ટન્સીની ઓફીસે મળવા ગયા હતા. વૈભવ પટેલ એકલા જ ઓફીસમાં હાજર હોય તેમની સાથે મારે યુકેના વિઝા માટે મિટીંગ થતા તેણે પાંચ વર્ષના વિઝા કરી આપવા માટે તમારે 35 લાખ રૂપિયા આપવાના થશે. જેમાં ત્યાના તમામ ચાર્જ તથા એર ટીકીટ તથા શરૂઆતના એક માસ રહેવાનુ બધુ જ તેમાં આવી જશે. તમારુ વિઝાનુ કામ 90 દિવસમાં થઈ જશે તેમ જણાવી તમારે કોલ લેટર બુક કરવા હાલ તાત્કાલીક રૂપિયા 4 લાખ આપો નહી તો કોલ લેટર નહી થાય તમારે વિઝા માટેના બધા રૂપિયા મને રોકડમાં જ આપવાના રહશે તેમ જણાવતા અમે રૂ. 1 લાખ રોકડા આપ્યાં હતા. વૈભવ પટેલના ઘરે 4 લાખ રૂપિયા પુરા આપવા પડશે નહી તો તમારો કોલ લેટર જતો રહશે, તેમ જણાવતા વૈભવ દિનેશભાઈ પટેલને વર્ક વિઝા માટે ટુકડે ટુકડે કુલ રૂ.26.50 લાખ રોકડમાં લીધી હતા. પરંતુ રૂપિયા આજદીન સુધી પરત આપ્યાં નથી કે વિઝાનું કામ પણ નહી કરીને ખોટા વાયદાઓ કરતો હતો. જેથી તેની પાસે રૂપિયાની માગણી કરતા વૈભવ દિનેશ પટેલે મને ખોટા બનાવટી કો લેટર, એજેન્સીના નામના ચાર ચેક રૂ,26.50 લાખના આપ્યાં હતા. જે ચેક બન્કમાં ડિપોઝિટ કરાવતા રિટર્ન થયા હતા. જેથી માંજલપુર પોલીસે ઠગ વૈભવ પટેલ સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 9:36 pm

સાપુતારા ઘાટમાં ST બસના બ્રેક ફેઈલ, મોટી જાનહાનિ ટળી:ડ્રાઈવરે બસને ઝાડ સાથે અથડાવી 35 મુસાફરોનો જીવ બચાવ્યો, 3 બાઈક અડફેટે ચડતાં 2 ઘાયલ અને એકનું મોત

નાશિકથી પાટણ જતી ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (ST)ની બસના બ્રેક અચાનક ફેઈલ થતાં સાપુતારા ઘાટ માર્ગ પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ બસે ઘાટમાં ત્રણ મોટરસાઇકલને અડફેટે લેતાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે ઘાયલ થયા છે. જોકે, ડ્રાઇવરની સમયસૂચકતા અને માર્ગ પરના એક વૃક્ષને કારણે બસમાં સવાર તમામ 35 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી. ઘાટ પરથી બસ ખીણમાં ખાબકવાની શક્યતા હતી. દરમિયાન ડ્રાઈવરે ઝાડ સાથે બસ અથડાવવાનો નિર્ણય લીધો હતો અને બસમાં સવાર 35 મુસાફરોનો જીવ બચાવ્યો હતો. બાઈકસવારનું સારવાર દરમિયાન મોતપ્રાપ્ત માહિતી અનુસાર, બસના બ્રેક ફેઈલ થતાં ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ ઝડપભેર નીચે ઘાટ તરફ ધસી રહી હતી. આ દરમિયાન બસે ત્રણ મોટરસાઇકલને ટક્કર મારી હતી, જેમાં મોટરસાઇકલ પર સવાર ધનુરાસ રામદાસ હડસ (ઉં.વ. 30)નું સામગહાન સરકારી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન દુર્ભાગ્યે મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ઘાયલ અન્ય એક યુવકની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. ત્રીજા યુવકને સામાન્ય ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. વૃક્ષ સાથે અથડાતા બસ અટકી મુસાફરોએ આપેલી વિગતો મુજબ, બ્રેક ફેઈલ થયા બાદ બસ અત્યંત ઝડપથી આગળ ધસી રહી હતી અને ખીણમાં પટકાઈ જવાની કે ઊંધી વળી જવાની ગંભીર આશંકા હતી. જોકે, બસ ચાલકની સમયસૂચકતાને કારણે બસ માર્ગ પર આવેલા એક વિશાળ વૃક્ષ સાથે અથડાઈને અટકી ગઈ હતી. આ અથડામણને કારણે બસની ગતિ અટકી જતાં તેમાં સવાર ૩૫ મુસાફરોના જીવ બચી ગયા હતા. મુસાફરે ડ્રાઈવરનો આભારજો બસ વૃક્ષ સાથે ન અથડાઈ હોત તો મોટો અનર્થ સર્જાઈ શક્યો હોત. ડ્રાઇવરના તાત્કાલિક અને યોગ્ય નિર્ણયથી આજે અમારો જીવ બચી ગયો છે એમ એક મુસાફરે જણાવ્યું હતું. તપાસનો ધમધમાટ શરૂ, લોકોમાં રોષઘટનાની જાણ થતાં જ પોલીસ, ટ્રાફિક વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે અકસ્માત સ્થળનું નિરીક્ષણ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ST બસના બ્રેક કયા કારણોસર ફેઈલ થયા તેની ટેક્નિકલ તપાસ પણ શરૂ કરવામાં આવી છે. સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે રોષ આ ગંભીર અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમણે ST ડેપોની બેદરકારી, વાહનોની નિયમિત સુરક્ષા ચકાસણીનો અભાવ અને સાપુતારા ઘાટ માર્ગની જોખમી પરિસ્થિતિ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 9:28 pm

કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટ: ભૂગર્ભ જળ સિંચાઈનો સૌથી મોટો પ્રોજેક્ટ.:સુમન હાઈસ્કૂલોમાં શિક્ષણની ગુણવત્તા જાળવવા 48 શિક્ષકોની આઉટસોર્સિંગથી ભરતી, લાલવાવટા યુનિયને છત્રી-ટેબલ નાંખી બેસવા માંગી મંજૂરી

સુરત મહાનગરપાલિકા શાસન માટે વર્તમાન સપ્તાહ નિર્ણાયક સાબિત થયો છે, જેમાં એક તરફ શહેરના જળ સંકટને કાયમી ઉકેલ આપતા મહાત્વાકાંક્ષી કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટને સ્થાયી સમિતિ તરફથી ગ્રીન સિગ્નલ મળ્યો છે તો બીજી તરફ શૈક્ષણિક ગુણવત્તા જાળવવા માટે સુમન હાઈસ્કૂલોમાં શિક્ષકોની આઉટસોર્સિંગથી ભરતીને મંજૂરી અપાઈ છે. જોકે, આ વિકાસની ગતિ વચ્ચે પાલિકાની કચેરીમાંથી યુનિયન ઓફિસો ખાલી કરાવવાનો વિવાદ ગરમાયો છે, જે હવે ગુજરાત હાઈકોર્ટના દ્વાર સુધી પહોંચ્યો છે. ભૂગર્ભ જળ સિંચાઈનો દેશનો સૌથી મોટો પ્રોજેક્ટરૂંઢ અને ભાઠાને જોડતા SMCના મહત્ત્વાકાંક્ષી કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટની કામગીરી આખરે સાડા ત્રણ વર્ષના વિલંબ બાદ શરૂ થવા જઈ રહી છે. શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં બેરેજ નિર્માણ માટે મહત્ત્વના પાળા સાકાર કરવાના ઉદ્દેશથી ડબલ વોલશીટ પાઇલ કોફર ડેમ બનાવવા માટેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ કોફર ડેમની ડિઝાઇન સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા તૈયાર કરાઈ હતી અને સેન્ટ્રલ વોટર કમિશન વારા મંજૂર કરાઈ છે. 10 કિમીની લંબાઇમાં રચાનારું આ સરોવર અને તેના પર આધારિત પ્રોજેક્ટ દેશમાં ભૂગર્ભ જળ સિંચાઈનો સૌથી મોટો પ્રોજેક્ટ બની રહેશે. જળ સુરક્ષા અને સિંચાઈનો લાભબેરેજ પ્રોજેક્ટ દ્વારા અનેકવિધ હેતુઓ સિદ્ધ થશે: પ્રોજેક્ટની ડિઝાઇન 100 વર્ષના ડેટાના આધારે તૈયાર કરવામાં આવીસ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે, ખરીફ તથા રવિ મોસમમાં ડાંગર, જુવાર, બાજરી, અને શાકભાજી જેવા પાકોની સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે. આ પ્રોજેક્ટની ડિઝાઇન 100 વર્ષના ડેટાના આધારે તૈયાર કરવામાં આવી છે, જે તેની દીર્ઘાયુષ્ય અને સુરક્ષાની ખાતરી આપે છે. ઉપરાંત, સરોવરના સંગ્રહિત જળનો ઉપયોગ વોટર સ્પોર્ટ્સ, પ્લેન હોટેલ અને ક્રૂઝ જેવી મનોરંજન અને પ્રવાસન સુવિધાઓ માટે પણ કરવામાં આવશે. સુમન હાઈસ્કૂલમાં શિક્ષણની ગુણવત્તા જાળવવા 48 શિક્ષકોની આઉટસોર્સિંગથી ભરતીએક તરફ માળખાગત સુવિધાઓ પર SMC ધ્યાન આપી રહ્યું છે, ત્યારે શૈક્ષણિક મોરચે પણ ઝડપી નિર્ણયો લેવાયા છે. શહેરની વિવિધ સુમન હાઈસ્કૂલોમાં માધ્યમિક વિભાગમાં 48 શિક્ષકોની ભારે ઘટનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે. શૈક્ષણિક સત્ર 2025–26નું દ્વિતીય સત્ર 6 નવેમ્બરથી શરૂ થઈ ચૂક્યું હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસને નુકસાન ન થાય તે હેતુથી પાલિકાએ તાત્કાલિક આ જગ્યાઓ ભરવાનો નિર્ણય લીધો છે. અગાઉ બે વખત જાહેરાત કરવા છતાં, પ્રથમ જાહેરાતમાં માત્ર 31 અને બીજી જાહેરાતમાં માત્ર 5 ઉમેદવારો જ હાજર થયા હતા, જેના કારણે 48 જગ્યાઓ ખાલી રહી ગઈ હતી. આ તાત્કાલિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, સ્થાયી સમિતિએ આઉટસોર્સિંગ દ્વારા શિક્ષકોની ભરતી કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. કર્મચારી એજન્સી: ઈજારદાર આકાર એચઆર મેનેજમેન્ટ એલએપી.માસિક ખર્ચ: ઈજારદાર દ્વારા એક શિક્ષકનો માસિક ખર્ચ 21,296 નક્કી કરવામાં આવ્યો છે.કુલ ખર્ચ: 48 શિક્ષકો માટે પાલિકાને દર મહિને લગભગ 10,22,208નો ખર્ચ થશે. આ વ્યવસ્થા નવી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થાય અથવા શૈક્ષણિક વર્ષ પૂરું થાય ત્યાં સુધી અમલમાં રહેશે, જેથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ અવરોધ ન આવે. યુનિયન ઓફિસોનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યોસુરત મહાનગર પાલિકાના મુખ્ય કચેરી પરિસરમાં તાજેતરમાં યુનિયન ઓફિસો ખાલી કરાવવાના મામલે ગરમાવો આવ્યો છે. પાલિકાએ અગાઉ નોટિસ આપી હતી કે જો યુનિયનો પાસે ઓફિસ ફાળવણીના કોઈ રેકોર્ડ હોય તો રજૂ કરે, અન્યથા સાત દિવસમાં કબજો પરત કરે. પાલિકાના મતે કોઈ પણ યુનિયનને ક્યારેય સત્તાવાર રીતે ઓફિસ ફાળવવામાં આવી ન હતી. નોટિસ પીરિયડ પૂરો થતાં જ, રાતોરાત 11 યુનિયનોની ઓફિસોના તાળા તોડી કબજો લઈ લેવામાં આવ્યો હતો. હાઈકોર્ટમાં જુદી-જુદી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવીઆ કાર્યવાહીથી યુનિયનોમાં ફફડાટ અને રોષ જોવા મળ્યો છે. એક તરફ યુનિયનોનો દાવો છે કે, મધ્યરાત્રે ગેરકાયદેસર રીતે તાળા તોડીને તેમના ટેબલ, ખુરશી, કબાટ, અગત્યના દસ્તાવેજો, કોર્ટ ફાઇલ અને રોકડ રકમ સહિતનો તમામ સામાન કચેરીના પ્રાંગણમાં મૂકી દેવાયો હતો, જેના પગલે લાલગેટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.યુનિયનોને ન્યાય મળે તે હેતુથી હાઈકોર્ટમાં જુદી-જુદી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવી છે. આ કેસની સુનાવણી આગામી સોમવાર, 8 ડિસેમ્બર 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં થવાની છે. યુનિયનો અને તંત્ર વચ્ચેનો સંઘર્ષ હવે કાનૂની લડાઈના સ્તરે પહોંચી આ વિવાદ વચ્ચે એક યુનિયન (લાલવાવટા યુનિયન) દ્વારા તેમની ઓફિસ લઇ લેવાતાં પાલિકાના કેમ્પસમાં જ છત્રી અને ટેબલ નાંખીને યુનિયનને બેસવા દેવાની લેખિત મંજૂરી માંગવામાં આવી છે. યુનિયને કોર્ટ અને બહુમાળીઓમાં વકીલો જે રીતે બેસતા હોય છે તેનું ઉદાહરણ આપ્યું છે. જોકે, પાલિકાના નિયમો અનુસાર આવી રીતે મંજૂરી આપી શકાય નહીં, તેથી આ માંગણી મંજૂર થઈ નથી. સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરીમાં થયેલી આ કાર્યવાહી બાદ યુનિયનો અને તંત્ર વચ્ચેનો સંઘર્ષ હવે કાનૂની લડાઈના સ્તરે પહોંચી ગયો છે, જેનું પરિણામ 8મી ડિસેમ્બરે હાઈકોર્ટની સુનાવણી બાદ સ્પષ્ટ થશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 9:27 pm

રાજકોટ સમાચાર:કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રાજકોટમાં, ડૉ. પી. એચ. ટાંકે પશુચિકિત્સા સહિતનાં સંશોધનો અંગે જાણકારી આપી

કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. પી. એચ. ટાંકની મુલાકાતને ધ્યાનમાં રાખીને રાજકોટ ખાતે બેંકર્સ રિક્રિએશન ક્લબ ખાતે એક વૈચારિક ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટી સંબંધિત માહિતી, પશુચિકિત્સા ક્ષેત્રના વિકાસ અને સંશોધનને નવી દિશા આપવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પોતાના સંબોધનમાં ડૉ. ટાંકે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની ગીર ગાયોના ગર્ભાશયના રોગ પર કરુણા ફાઉન્ડેશન, ભાણવડ મહાજન પાંજરાપોળ તથા અન્ય ગૌશાળા-પાંજરાપોળના સહકારથી લગભગ 100 કેસોનો અભ્યાસ કરીને સંશોધન કરવામાં આવ્યું છે. આ સંશોધનમાં કોઈ પણ ચીરો મૂક્યા વગર મૂત્રાશયના ભાગમાંથી ગર્ભાશયને સેટ કરીને તેની નકામી વસ્તુઓ કાઢવાના ઓપરેશનની પદ્ધતિ વિકસાવવામાં આવી છે. ડૉ. ટાંકના માર્ગદર્શન હેઠળ કાઠિયાવાડી અશ્વ, ગીર ગાયો અને જાફરાબાદી ભેંસો સહિત 21 જેટલા વિવિધ પશુઓ પર સંશોધન કાર્ય થયું છે, જેમાં તેમના પ્રદેશની ભૌગોલિક લાક્ષણિકતાઓ પ્રમાણે સારવાર, દવાઓ અને ઓપરેશન પ્રક્રિયાઓ વિકસાવવામાં આવી છે. ડૉ. ટાંકે અત્યાર સુધીમાં 2 PHD અને 21 એમ.વી.એસસી. વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કર્યું છે. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ, મેયર અને ધારાસભ્ય સહિતનાં હાજર રહ્યા હતા. રાજકોટમાં દુબઈની ચોકલેટમાંથી ઈયળ નીકળતા આરોગ્ય વિભાગ હરકતમાં રાજકોટમાં દુબઈથી મંગાવેલી બકલાવા ચોકલેટમાં ઈયળ નીકળવાની ગંભીર ઘટના સામે આવી હતી. આ કારણે એક જાગૃત નાગરિકે આ અંગેનો વિડીયો વાયરલ કર્યો હતો. જેને લઈને રાજકોટ મહાપાલિકાનું આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે અને તાત્કાલિક તપાસ શરૂ કરી છે. આ મામલે આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે, ચોકલેટ વેચનારાઓ દ્વારા FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા)ના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે ચોકલેટ પર માત્ર રેપર લગાવવામાં આવ્યું છે, જેમાં ઉત્પાદક દ્વારા કોઈપણ પ્રકારનું વર્ણન-વિગતો આપવામાં આવી નથી. જયેશ વાકાણીએ જણાવ્યું કે, આ ચોકલેટ જે પણ પાન પાર્લર અને ચોકલેટ પાર્લરમાં વેચાઈ રહી છે, ત્યાં સઘન ચેકિંગ કરવામાં આવશે અને ચોકલેટ વિક્રેતાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ પ્રકારની બિનઆરોગ્યપ્રદ ચોકલેટ ખાવાથી લોકોને પેટ, આંતરડાની બીમારીઓ અને ઝાડા- ઉલટી જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. જૂની પેન્શન યોજનાનો લાભ, રાજકોટ શિક્ષણ સમિતિના 285 શિક્ષકો-આચાર્યોને GPFમાં સમાવેશ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સરકારના પરિપત્ર મુજબ જૂની પેન્શન યોજના (GPF)નો લાભ 2004 પહેલા નોકરીમાં જોડાયેલા કર્મચારીને આપવાની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી છે. શાસનાધિકારી કિરીટસિંહ પરમાર રજા પરથી પરત ફર્યા બાદ તરત જ તેમણે આ મહત્વપૂર્ણ નિર્ણય પર કામગીરી શરૂ કરી હતી. શાસનાધિકારી કિરીટસિંહ પરમારના પ્રયત્નોના ભાગરૂપે શિક્ષણ સમિતિના અંદાજે 270 જેટલા શિક્ષકોને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) માંથી જૂની પેન્શન યોજના GPF માં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત, HTAT સેવા સળંગના 15 જેટલા આચાર્યની સળંગ નોકરીની ગણતરી કરીને તેમને પણ GPF નો લાભ આપવામાં આવ્યો છે, જેનાથી લાભાર્થીઓની કુલ સંખ્યા 285 થઈ છે. હાલ શાસનાધિકારી કિરીટસિંહ પરમારના કાર્યકાળ દરમિયાન કર્મચારીઓના સેવાકીય નિર્ણયોની ત્વરિત અમલવારી કરવાથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોસ્મોપ્લેકસથી નવા રીંગ રોડ સુધી રૂ. 2.86 કરોડના ખર્ચે 60 ફુટનો નવો રોડ બનશે રાજકોટમાં નવા ભળેલા મુંજકા ગામના વોર્ડ નં.9માં કોસ્મોપ્લેસ સિનેમા પાસેથી નવા 150 રીંગ રોડને જોડતા 18 મીટરના ટીપી રોડ ડેવલપ કરવાના કામ માટે 2.86 કરોડના ટેન્ડર આજે બહાર પાડવામાં આવ્યા છે. કટારીયા ચોકડીએ બ્રીજના કામ માટે આજુ બાજુના રસ્તે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. ચોકથી જમણી તરફ લક્ષ્મીના ઢોરા બાજુમાંથી વોંકળાનો રસ્તો પસાર થાય છે. આ રસ્તો સીધો કોસ્મોપ્લેકસ સિનેમાને ટચ થાય છે. ટીપીનો આ વિશાળ રોડ નવો બનાવવા ટેન્ડર પ્રસિધ્ધ કરાયા છે. આમ કટારીયા ચોકડીએ બ્રીજના કામ સાથે બાજુમાં જ નવો ટીપીનો 60 ફુટનો રોડ પર ડેવલપ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ માટે અંદાજીત રૂ. 2.86 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. આ રોડ નવો બનવાથી હજારો વાહન ચાલકોને તેનો લાભ મળશે. રખડતા શ્વાનોના ત્રાસને દૂર કરવા મહાપાલિકાનો મોટો નિર્ણય, 10 એનિમલ કીપરની ભરતી કરાશે સમગ્ર દેશમાં રખડતા શ્વાનોના ત્રાસની સમસ્યા મુખ્ય મુદ્દો બની છે, જેને પગલે સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારને પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે. આ સૂચનાના અનુસંધાનમાં અને આગામી સમયમાં શ્વાન નિયંત્રણની કામગીરી વધુ ઝડપી બનાવવાના હેતુથી રાજકોટ મહાનગરપાલિકાએ 10 એનિમલ કીપર ની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. રખડતા કુતરાઓના ત્રાસને નિયંત્રિત કરવા મનપાએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શાળાઓ, કોલેજો અને હોસ્પિટલો સહિતના એકમોને જવાબદારી સોંપી છે. આ કામગીરીને વધુ વેગ આપવા માટે ANCD (એનિમલ બર્થ કંટ્રોલ) વિભાગમાં આ 10 જગ્યાઓ ભરવામાં આવશે, જેનાથી શ્વાન વ્યંધીકરણ સહિતની કાર્યવાહી વધુ ઝડપી - અસરકારક બનવાની આશા છે. કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલી 10 જગ્યાઓ માં 4 બિનઅનામત, 1 અનુસૂચિત જાતિ, 2 અનુસૂચિત જનજાતિ અને 3 અન્ય અનામત કેટેગરીની રહેશે. આ ભરતી ટૂંક સમયમાં યોગ્ય લાયકાત, પગાર ધોરણ અને વય મર્યાદાના આધારે હાથ ધરાશે, જેમાં અરજી બાદ ઇન્ટરવ્યુની પ્રક્રિયા કરવામાં આવશે. આ મામલે સુપ્રીમ કોર્ટે જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ, મનપાને 39 હોસ્પિટલો તેમજ શૈક્ષણિક સંસ્થાઓને તેમના પરિસરમાં શ્વાન પ્રવેશ ન કરે તે માટે તાત્કાલિક ધોરણે ફેન્સિંગ અને બાઉન્ડ્રી વોલની વ્યવસ્થા કરવા અને આ માટે નોડલ ઓફિસર્સ મૂકવા આદેશ કરાયો છે. રાજકોટમાં ખાલી પ્લોટ પર સ્પોર્ટ્સ ફેસિલિટી, 16.09 લાખના ખર્ચે વોલીબોલ કોર્ટ બનશે રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના બિનઉપયોગી નાના પ્લોટ પર જે તે વિસ્તારના રહેવાસીઓ માટે સ્પોર્ટ્સ ફેસિલિટી વિકસાવવાનો વિચાર આગળ વધારવામાં આવ્યો છે. માળખાકીય સુવિધાઓની સાથે રમતગમત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે કમિશનર તુષાર સુમેરાની સૂચનાથી ત્રણેય ઝોનના ઇજનેરો દ્વારા આવા પ્લોટ્સની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે, વેસ્ટ ઝોન બાંધકામ શાખા દ્વારા વોર્ડ નંબર 10 માં નાના મવા રોડ પર આવેલ નિધિ કર્મચારી સોસાયટી સામેના પ્લોટમાં નવો વોલીબોલ કોર્ટ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેનો અંદાજિત ખર્ચ રૂ. 16.09 લાખ થશે, જેના માટે ટેન્ડર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. નવા ભળેલા વિસ્તારો સહિત ન્યુ રાજકોટમાં આવા 10 થી 12 પ્લોટની યાદી બનાવવામાં આવી છે. સેન્ટ્રલ અને ઇસ્ટ ઝોનમાં પણ વોલીબોલ અને બેડમિન્ટન જેવી ઓછી જગ્યામાં રમી શકાય તેવી રમતોની સુવિધાઓ વિકસાવવામાં આવશે. જેનાથી ઓછા ખર્ચે સ્પોર્ટ્સ અને ફિટનેસનો હેતુ સિદ્ધ થશે અને બાળકો તેમજ યુવાનો મોબાઈલથી દૂર થઈને રિયલ ગેમ્સ રમવા માટે પ્રેરાશે. મોટા મવા અને ઘંટેશ્વર ટીપી સ્કીમના જમીનધારકો સાથે મનપાની બેઠક રાજકોટ મહાપાલિકા દ્વારા આજે મોટા મવા અને ઘંટેશ્વર ટીપી સ્કીમના અમલીકરણ માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું હતું. કમિશ્નરની હાજરીમાં જમીનધારકો અને ખાતેદારો સાથે હિયરીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પાંચ વર્ષ પહેલાં રૂડા વિસ્તારમાંથી મહાપાલિકામાં ભળી ગયેલા મોટા મવા, ઘંટેશ્વર સહિતના આ નવા વિસ્તારો માટે અનુક્રમે ટીપી સ્કીમ 44 (મોટા મવા) અને ટીપી સ્કીમ 46 (ઘંટેશ્વર) બનાવવામાં આવી છે. આજે યોજાયેલી બેઠકમાં બંને ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં અસર પામતા અનેક જમીનદારોએ હાજરી આપી હતી. હિયરીંગમાં જાણવા મળ્યું કે, ઘંટેશ્વર ટીપી સ્કીમમાં જમીનદારો તરફથી વધુ સૂચનો અને વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે, જ્યારે મોટા મવાની સ્કીમમાં વાંધાઓની સંખ્યા ઓછી છે. મહાપાલિકા તંત્ર દ્વારા હવે આસામીઓને તેમના વાંધા અને સૂચનો લેખિતમાં રજૂ કરવા માટે 30 દિવસની મુદત આપવામાં આવી છે. આ 1 મહિનાની મુદત પૂર્ણ થયા બાદ, રજૂ થયેલા વાંધા-સૂચનો પર નવું હિયરીંગ હાથ ધરાશે અને તેના નિકાલ બાદ જ ટીપી સ્કીમ અંતિમ મંજૂરીની પ્રક્રિયા માટે રાજ્ય સરકારના હવાલે કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 9:26 pm

કરોડોના પ્રોજેક્ટ્સમાં PMC/TPI એજન્સીઓ પર ગેરરીતિના આક્ષેપો:RTI એક્ટિવિસ્ટે પ્રાદેશિક કચેરીઓમાં ફરિયાદ નોંધાવી, ભાવનગર ઝોન દ્વારા 28 નગરપાલિકાને તકેદારીના આદેશ

ગુજરાત રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં કરોડો રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સના સંચાલન અને ગુણવત્તા નિરીક્ષણ માટે નિમાયેલી પીએમસી (Project Management Consultant) અને ટીપીઆઈ (Third Party Inspection) એજન્સીઓ દ્વારા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. જૂનાગઢના RTI એક્ટિવિસ્ટ નિલેશ ગરાણીયાએ આ અંગે રાજ્યની તમામ પ્રાદેશિક કચેરીઓમાં વિગતવાર ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદમાં ગુજરાત સરકારને કરોડો રૂપિયાનું નાણાકીય નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો અને નગરપાલિકાના અધિકારીઓ સાથે એજન્સીઓ મિલીભગત કરીને અંગત આર્થિક લાભ મેળવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ગંભીર ફરિયાદના પગલે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે અને પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ, ભાવનગર ઝોન હેઠળ આવતી 28 જેટલી નગરપાલિકાઓમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ પર તકેદારી રાખવાના સ્પષ્ટ આદેશો જારી કરવામાં આવ્યા છે. PMC/TPIની કામગીરી સામે RTI એક્ટિવિસ્ટના આક્ષેપોએજન્સીઓની નિમણૂક મોટી રકમના વિકાસના કામોમાં યોગ્ય પદ્ધતિ અને નિયમો અનુસાર કામ થાય, ગુણવત્તા જળવાય અને પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે. PMC પ્રોજેક્ટનું આયોજન, દેખરેખ અને વ્યવસ્થાપન કરે છે, જ્યારે TPI કોન્ટ્રાક્ટરના કામની ગુણવત્તા અને માપણીનું સ્વતંત્ર રીતે નિરીક્ષણ કરે છે. આ એજન્સીઓની નિમણૂક નગરપાલિકાઓ દ્વારા અથવા મોટા પ્રોજેક્ટ્સ માટે સરકાર કક્ષાએથી થતી હોય છે. એન્જિનિયરો અને સાઇટ સુપરવાઈઝરની વિગતોમાં વ્યાપક ગેરરીતિફરિયાદી નિલેશ ગરાણીયાએ આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલી પીએમસી અને ટીપીઆઈને અપાયેલા વર્ક ઓર્ડરની નકલોના આધારે ગંભીર આક્ષેપો કર્યા છે. કે એન્જિનિયરો તેમજ સાઇટ સુપરવાઈઝરની વિગતોમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિઓ આચરવામાં આવી છે. તેમના આક્ષેપ મુજબ આ એજન્સી ભ્રષ્ટ અને બેદરકાર અધિકારીઓની સાથે મળીને સરકારી નીતિ-નિયમો તોડીને નાણાકીય નુકસાન પહોંચાડી રહી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે, જે એજન્સીઓને નિમણૂક મળે છે તેના બદલે અન્ય એજન્સીઓ ઊંચા ભાવે કામ કરે છે. ભાવનગર ઝોન દ્વારા તકેદારીના આદેશો જારીનિલેશ ગરાણીયાની ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈને પ્રાદેશિક કમિશનર નગરપાલિકા કચેરી ભાવનગરના અધિક કલેક્ટર ડી.એન. સતાણીએ તાત્કાલિક પગલાં લીધા છે. ડી.એન. સતાણીએ જણાવ્યું હતું કે, ઝોનના ઉચ્ચ અધિકારી દ્વારા તેમની હેઠળ આવતી ચાર જિલ્લાની 28 નગરપાલિકાઓના તમામ ચીફ ઓફિસરોને સ્પષ્ટપણે 'ધ્યાન રાખવા અને તકેદારી' રાખવાની જનરલ સૂચનાઓ જારી કરવામાં આવી છે. આ સૂચનાનો મુખ્ય હેતુ ભવિષ્યમાં સરકારને કોઈ નાણાકીય નુકસાન ન થાય તે માટે અગમચેતી રાખવાનો છે. આ સમગ્ર મામલે ભાવનગર પ્રાદેશિક કચેરી ખાતેથી જૂનાગઢ જિલ્લાની પણ તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસરને તપાસના આદેશ કરાયા છે. ગેરરિતી સામે આવશે તો કડક પગલાં લેવાશે: અધિક કલેક્ટર​ડી.એન. સતાણીએ વધુમાં જણાવ્યું કે, જો કોઈ અરજદારને TPI કે PMCની કામગીરી સંબંધિત કોઈ ચોક્કસ તકલીફ હોય, તો તેઓ સંબંધિત નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરી શકે છે. જો કચેરીના ધ્યાને કોઈ ચોક્કસ ભ્રષ્ટાચારનો કેસ આવશે, તો નિયમ મુજબ કડક પગલાં લેવામાં આવશે અને ગેરરીતિ જરાય સાંખી લેવામાં નહીં આવે. ફરિયાદની તપાસ નગરપાલિકાના અધિકારીઓ જ કરશે ? તે સવાલ આ સમગ્ર મામલે ફરિયાદી નિલેશ ગરાણીયાએ એક મહત્ત્વનો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે, વર્તમાન સરકારી જોગવાઈઓ હેઠળ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પદાધિકારીઓ ભ્રષ્ટાચાર આચરતા હોય તો તેમના વિરુદ્ધ જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) અને અન્ય જિલ્લા કક્ષાના અધિકારીઓ પગલાં લઈ શકે છે. પરંતુ, જો અધિકારીઓ જ ભ્રષ્ટાચાર કરતા હોય તો તેના પર કોણ કાર્યવાહી કરી શકે?. પ્રાદેશિક કચેરીઓ તપાસ કરે તો મોટા પાલે ભ્રષ્ટાચાર ખુલી શકે​નિલેશ ગરાણીયાએ આક્ષેપ કર્યો કે, પ્રાદેશિક કચેરી દ્વારા નગરપાલિકાઓના ચીફ ઓફિસરને જ તપાસ કરવા સૂચના આપવામાં આવી છે, પરંતુ જે ગેરરીતિ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જ કરવામાં આવતી હોય તો તેની તપાસ ચીફ ઓફિસરને જ સોંપવામાં આવે તો તપાસ ક્યારેય યોગ્ય દિશામાં ન થાય. તેમણે સૂચવ્યું કે, આ મામલે પ્રાદેશિક કચેરીઓ દ્વારા યોગ્ય કાયદેસર કાર્યવાહી કરી નિર્ણય લેવામાં આવે તો ઘણો ભ્રષ્ટાચાર ખૂલી શકે છે. તેમણે એમ પણ આક્ષેપ કર્યો કે મોટા શહેરો અને નગરપાલિકાઓમાં અધિકારીઓ પોતાના ફાયદા માટે એજન્સીઓને ઊંચા ભાવે કામ આપે છે અને ટેન્ડર પ્રક્રિયાને વારંવાર રિન્યુ કરવામાં આવે છે. ડી.એન. સતાણીએ સ્પષ્ટતા કરી હતી કે, તેમની કચેરી હેઠળ ચાર જિલ્લાઓની 28 નગરપાલિકાઓ આવેલી છે અને અરજદારો દ્વારા મળતી ફરિયાદોના અનુસંધાને ટેકનિકલ વિભાગ દ્વારા આ સૂચના આપવામાં આવી છે. જોકે, તેમણે ફરી ભારપૂર્વક જણાવ્યું હતું કે ફરિયાદીને જે નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થયો હોય, ત્યાંના ચીફ ઓફિસર તપાસ કરશે અને ભાવનગર પ્રાદેશિક કચેરીના ધ્યાને કોઈ પણ બાબત આવશે તો નિયમ અનુસાર પગલાં લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 9:26 pm

વડોદરા સગીરા દુષ્કર્મ કેસ:આરોપીએ જે સ્થળ પર સગીરા પર દુષ્કર્મ આચર્યું, તે સ્થળની પોલીસે તપાસ કરી, સગીરા પર 10 વખત દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ

વડોદરા શહેરના સમા વિસ્તારમાં 30 વર્ષીય યુવકે 15 વર્ષીય સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાને ગર્ભવતી બનાવી હતી. સમા પોલીસે આરોપી સામે પોક્સો સહિત એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે આરોપી જીતેન્દ્રસિંહ અર્જુનસિંહ ઝાલાની ધરપકડ કરી છે અને પોલીસે આરોપીને સાથે રાખીને આરોપીએ જે સ્થળ પર સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું, તે સ્થળની તપાસ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે, આરોપીએ સગીરા સાથે 10 વખત દુષ્કર્મ આચર્યું હતું. વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય જીતેન્દ્રસિંહ અર્જુનસિંહ ઝાલા 15 વર્ષીય સગીરાને પોતાના પ્રેમજાળામાં ફસાવી હતી. ત્યારે આ યુવક છેલ્લા એક વર્ષથી સગીરાના વાતચીત કરવાના બહાને તેના ઘરે અવાર-નવાર બોલાવી સગીરા સાથે વારંવાર તેની મરજી વિરુદ્ધ શારિરીક સંબંધ બાંધતો હતો. જેના કારણે 15 વર્ષની સગીર દીકરીને છ મહિનાનો ગર્ભ રહી ગયો હતો. છેલ્લા કેટલાક સમયથી દીકરી માસિક ધર્મમાં નહી આવતા તેની માતાને શંકા ગઇ હતી. જેથી માતાએ તેને ડોક્ટર પાસે લઇ જઇને મેડિકલ ચકાસણી કરાવવામાં આવી હતી, ત્યારે સગીરાના પેટમા 6 મહિના ગર્ભ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી સગીરાના માતાએ સમા પોલીસ સ્ટેશનમાં વારંવાર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનાર આરોપી જિતેન્દ્રસિંહ અર્જુનસિંહ ઝાલા ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી જિતેન્દ્રસિંહ અર્જુનસિંહ ઝાલા સામે પોક્સો સહિત એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને પોલીસ દ્વારા આરોપીને અલગ-અલગ ટીમો બનાવી આરોપી જીતેન્દ્રસિંહ અર્જુનસિંહ ઝાલાની ધરપકડ કરી હતી અને પોલીસે આરોપીને સાથે રાખીને આરોપીએ સગીરા પર જ્યાંદુષ્કર્મ આચર્યું હતું, તે ઘરની તપાસ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે, આરોપીએ સગીરા સાથે 10 વખત દુષ્કર્મ આચર્યું હતું.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 9:13 pm

કન્સ્ટ્રક્શન સાઈટો પર તપાસ:ગ્રીન નેટ ન લગાવનાર સાઈટોને દંડ કરાયો, પૂર્વ વિસ્તારમાં બીયુ અને ફાયર સેફ્ટી વિનાની 13 હોસ્પિટલો સીલ

શહેરમાં બીયુ પરમિશન અને ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલોને સીલ કરવા માટેની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ અને ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવતા દક્ષિણઝોનમાં અલગ અલગ ટીમો દ્વારા 81 હોસ્પિટલોના બાંધકામ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 27 હોસ્પિટલોને માન્ય બી.યુ રજૂ કરવા નોટીસો આપવામાં આવી હતી. જે હોસ્પિટલ બિલ્ડીંગ પાસે માન્ય વપરાશ પરવાનગી ન હોય તેવી કુલ 13 હોસ્પિટલ બિલ્ડીંગોને સીલ કરવામાં આવી છે. શહેરમાં દિન પ્રતિદિન હોવાની ગુણવત્તામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કન્સ્ટ્રક્શન સાઈટો દ્વારા ધૂળ વધુ ઉડી રહી હોવાને પગલે શહેરના પૂર્વ વિસ્તારમાં દક્ષિણ ઝોન હદ વિસ્તારમાં ઓનગોઈંગ કંસ્ટ્રક્શન સાઈટ પર ગ્રીન નેટ બાબતે સર્વે કરવામાં આવ્યો. જેમાં કુલ 25 સાઈટોને ચેક કર્યા બાદ જે સાઈટ પર યોગ્ય ગ્રીન નેટ લગાવેલું ન હોય તેવી કુલ 7 સાઈટો પરથી કુલ 1.45 લાખ વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 9:08 pm

પઠાણી ઉઘરાણી કરતા આઠ વ્યાજખોરો સામે ફરિયાદ:યુવકે અડધા નાણા ચુકવી દીધા હોવા છતાં વધુ નાણાની માગ કરતા, જાનથી મારી નાખવા આપી વ્યાજ વસુલતા શખસો સામે ફરિયાદ

મહેસાણા તાલુકાના ગોઝારિયા ગામે રહેતા અને જમીનની દલાલી કરતા યુવકે છ માસ અગાઉ આઠ જેટલા વ્યક્તિઓ પાસેથી અલગ અલગ સમયે અલગ અલગ રૂપિયા વ્યાજે લીધા હતા. ત્યારબાદ યુવકે અડધા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર યુવકને અવારનવાર પૈસાની અને વ્યાજની માગણીઓ કરી મારી નાખવાની ધમકીઓ આપતા વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલા યુવકે કંટાળીને આખરે લાઘણજ પોલીસ મથકમાં આઠ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. બાર માસ અગાઉ ફરિયાદી પાસેથી 4 લાખ વ્યાજે લીધા હતામૂળ સાબરકાંઠા જિલ્લામાં આવેલા પ્રાંતિજ તાલુકાના મજરા ગામના અને હાલ મહેસાણા તાલુકાના ગોઝારીયા ગામે પરિવાર સાથે રહેતા અને જમીન દલાલી કરતા 37 વર્ષીય સોની અજય કુમારે લાઘણજ પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, જમીન દલાલીના ધંધામાં નુકસાન જતા પરિવાનું ગુજરાન ચલાવવા અને બાળકોના અભ્યાસ માટે પૈસાની જરૂર હોવાથી બાર માસ અગાઉ ગોઝારીયામાં રહેતા પટેલ અમિત પાસેથી 4 લાખ વ્યાજે લીધા હતા. જેમાંથી ફરિયાદી એ ટુકડે-ટુકડે 2 લાખ ચૂકત કર્યા હતા. આમ છતાં અમિત પટેલ 30 લાખ ચક્રવૃદ્ધી વ્યાજના અવારનવાર માગી પઠાણી ઉઘરાણી કરતો હતો. ફરિયાદી પાસેથી 3 લાખ વ્યાજ અને મૂડીની ઉઘરાણી કરતો હતોત્યારબાદ ફરિયાદીએ છ માસ અગાઉ સમો ગામના મહેન્દ્રસિંહ પાસેથી 3.50 લાખ રોકડા લીધા હતા જેમાંથી 1.50 લાખ રોકડા પરત આપ્યા હતા. તેમજ મહેન્દ્રસિંહ ફરિયાદી પાસે વ્યાજ અને મૂડી થઈ 4 લાખ માંગતો હતો. તેમજ સમો ગામના વિશાલ સિંહ પાસેથી પણ 50 હજાર વ્યાજે લીધા હતા જેમાંથી 30 હજાર પાછા આપ્યા હોવા છતાં વિશાલસિંહ ફરિયાદી પાસેથી 3 લાખ વ્યાજ અને મૂડીની ઉઘરાણી કરતો હતો. બાદમાં ધરમ સિંહ પાસેથી 30 હજાર લીધા જેમાંથી 20 હજાર પાછા આપ્યા હોવા છતાં ધરમ સિંહ વ્યાજ મૂડી મળી 2 લાખની ઉઘરાણી કરતો હતો. આરોપી ફરિયાદી પાસેથી વારંવાર માગેલી મુડી કરતા વધારે વ્યાજે વસુલતોદિલીપ સિંહ પાસેથી 15 હજાર વ્યાજે લીધા જેમાંથી 10 હજાર પરત આપ્યા બાદ વ્યાજખોર મહેન્દ્રસિંહે 60 હજાર વ્યાજ મૂડી માગી. ત્યારબાદ ત્રણ માસ અગાઉ કોલવડા ગામના જગત સિંહ પાસેથી 1 લાખ વ્યાજે લીધા જેમાંથી ફરિયાદીએ 1.50 રોકડા પરત આપ્યા હતા. એમ છતાં જગત સિંહ વ્યાજ મૂળી મળી 6 લાખ ઉઘરાણી કરી હતી. ત્યારબાદ બે માસ અગાઉ ગોઝારીયાના જગદીશ પટેલ પાસેથી 3 લાખ લીધા જેમાંથી તે મૂડી અને વ્યાજ મળી 9 લાખની ઉઘરાણી કરી હતી. ત્રણ માસ અગાઉ યુવરાજસિંહ પાસેથી 20 હજાર વ્યાજે લીધા હતા જેમાંથી તે 1.20 લાખની ઉઘરાણી કરતા હતા. અંતે આરોપી સામે પઠાણી ઉઘરાણીની ફરિયાદ નોંધાઈઆ તમામ ઇસમો પાસેથી ફરિયાદી એ વ્યાજે પૈસા લીધા હતા. ત્યારબાદ અમુક રૂપિયા આપ્યા હોવા છતાં વ્યજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા આખરે ફરિયાદીએ લાઘણજ પોલીસ મથકમાં 8 વ્યાજખોર સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 8:58 pm

વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ:બાપુનગરમાં વ્યાજખોરોથી કંટાળી યુવકે ઉંદર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા એક યુવા કે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઉંદર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. યુવકે ત્રણેય પાસેથી કુલ 1.17 લાખ 8થી 30 ટકાના ઉંચા વ્યાજે લીધા હતા. બાદમાં વ્યાજ અને મૂડી ન ચૂકવી શકતા ત્રણેય વ્યાજખોરો ઉઘરાણી કરવા લાગ્યા હતા. જેથી કંટાળીને યુવકે દવા પી લીધી હતી. યુવકે ત્રણેય વ્યાજખોરો સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ત્રણેય વ્યાજખોરો યુવકને પઠાણી ઉઘરાણી કરવા લાગ્યા હતામળતી માહિતી મુજબ બાપુનગરમાં રહેતા રાજવીરસિંહ રાઠોડ છુટક મજૂરી કામ કરે છે. છેલ્લા એક વર્ષથી આર્થિક પરિસ્થિતી સારી ન હોવાથી તેમને વિરાજ દેસાઇ પાસેથી 20 ટકા વ્યાજે 12 હજાર લીધા હતા તેમજ હિરાવાડીના સુજલ દેસાઇ પાસેથી 8 ટકા વ્યાજે 1 લાખ લીધા હતા તેમજ બાપુનગરના મંથન ગૌડા પાસેથી 30 ટકા વ્યાજે 5 હજાર લીધા હતા. જેમાં ત્રણેય વ્યાજખોરને રાજવીરસિંહે થોડા મહિનાઓ સુધી સમયસર વ્યાજ ભર્યુ હતુ. જે બાદ આર્થિક પરિસ્થિતિ વધુ ખરાબ થતા વ્યાજ કે મૂડી આપી શક્યો ન હતો. જેથી, ત્રણેય વ્યાજખોરો યુવકને પઠાણી ઉઘરાણી કરવા લાગ્યા હતા. ત્રણેય વ્યાજખોર સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી રાજવીરસિંહ ત્રણેય વ્યાજખોરને વાયદા આપતો રહ્યો હતો ત્યારે ત્રણેય વ્યાજખોરના માનસિક ત્રાસથી કંટાળીને યુવકે ગત 4 ડિસેમ્બરે બપોરના સમયે ઘરના પાર્કિંગમાં ઉંદર મારવાની દવા પી લીધી હતી. જેની અસર થતા પાડોશી મિત્ર સિદ્ધરાજસિંહને જાણ થતા તેને હોસ્પિટલ સારવારઅર્થે લઇ ગયા હતા. આ અંગે રાજવીરસિંહે ત્રણેય વ્યાજખોર સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 8:51 pm

જળવિતરણ મથકની ઓવરહેડ ટાંકી સાથે જોડાયેલી મુખ્ય લાઈનમાં લીકેજ:સમારકામને કારણે રાંદેર ઝોનના દોઢ લાખ લોકોને પાણીકાપનો માર, 9મી ડિસેમ્બરે સાંજનો પાણી પુરવઠો બંધ રહેશે

સુરત મહાનગર પાલિકા દ્વારા રાંદેર ઝોન વિસ્તારમાં આવેલા જોગાણીનગર જળવિતરણ મથકની ઓવરહેડ ટાંકી સાથે જોડાયેલી મુખ્ય લાઈનમાં લીકેજ અને સમારકામને કારણે આગામી મંગળવાર, 9મી ડિસેમ્બરના રોજ સાંજનો પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામગીરીના પગલે રાંદેર ઝોનના જોગાણીનગર જળવિતરણ મથક સાથે જોડાયેલા અંદાજિત દોઢ લાખ વસ્તીને સીધી અસર થશે અને સાંજના સમયે પાણી નહીં મળે. પાણી પુરવઠો બંધ રાખવો અનિવાર્ય બન્યો હાઈડ્રોલિક વિભાગની ટેકનિકલ ટીમ દ્વારા જોગાણીનગર જળવિતરણ મથકની ઓવરહેડ ટાંકી સાથે જોડાયેલી 1500 મીમી વ્યાસની એમ.એસ. લાઇનમાં થયેલા લીકેજને દૂર કરવાની તથા 200 મીમી વ્યાસની બાયપાસ લાઇન બદલવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ મહત્વપૂર્ણ મેઇન્ટેનન્સ કામગીરીને કારણે જ પાણી પુરવઠો બંધ રાખવો અનિવાર્ય બન્યો છે. આ વિસ્તારોમાં રહેશે પાણી કાપ (સાંજના સમયે)9મી ડિસેમ્બરે સાંજના સમયે જોગાણીનગર જળવિતરણ મથકના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક સાથે જોડાયેલા નીચે મુજબના વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે. સુરત મહાનગર પાલિકાએ આ વિસ્તારોના રહેવાસીઓને અપીલ કરી છે કે, 9 ડિસેમ્બરે સાંજના ઉપયોગ માટે પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી લે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 8:44 pm

ઝીંઝુવાડા યુવાનનું કસ્ટોડિયલ ડેથ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો:SPની ખાતરી બાદ રાજકોટમાં પેનલ PM, ગામમાં અંતિમવિધિ

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝીંઝુવાડામાં કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો છે. એલસીબી કસ્ટડીમાં યુવાનના મૃત્યુ બાદ જિલ્લા પોલીસ વડાની ખાતરી મળતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો, ત્યારબાદ ઝીંઝુવાડામાં યુવાનની અંતિમવિધિ કરવામાં આવી. આ ઘટના બે દિવસ પહેલા બની હતી. પાટડી તાલુકાના ઝીંઝુવાડામાં મજૂરી કરતા 26 વર્ષીય ગજેન્દ્રસિંહ ઝાલાને બાઇક ચોરીના ગુનાની તપાસ માટે એલસીબી ટીમ રાત્રે ઘરેથી લઈ ગઈ હતી. સુરેન્દ્રનગર એલસીબીની કસ્ટડીમાં ગજેન્દ્રસિંહે પોતાના શર્ટ વડે શૌચાલયની જાળી સાથે બાંધી આત્મહત્યા કરી લીધી હતી. ગજેન્દ્રસિંહ ઝાલા તેમના પિતા વિનુભા અને માતા કૈલાસબા સાથે રહેતા હતા. તેમનો મોટો ભાઈ રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. કસ્ટોડિયલ ડેથ બાદ પરિવારજનોએ પોલીસ સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જોકે, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પરિવારજનોને મળીને ન્યાયીક તપાસની ખાતરી આપી હતી. પોલીસ વડાની ખાતરી બાદ પરિવારજનોએ અંતે મૃતદેહ સ્વીકાર્યો હતો. શુક્રવારે ઝીંઝુવાડામાં ગજેન્દ્રસિંહ ઝાલાની અંતિમ યાત્રામાં આખું ગામ જોડાયું હતું. આ ઘટનાથી ગામમાં અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 8:39 pm

રાજકોટ ક્રાઇમ ન્યૂઝ:પંજાબ ઓટો મોબાઇલ્સના વર્કશોપમાં મહિલા કેશીયરે રૂ.28.03 લાખની ઉચાપત કરી

શહેરના કાલાવડ રોડ પર આવેલ પંજાબ ઓટો મોબાઇલ્સના વર્કશોપ કેશીયર મહિલાએ રૂ.28.03 લાખની ઉચાપત કરી રૂપીયા પોતાના અંગત કામમાં વાપરી નાંખતા તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. શો-રૂમમાં વર્ષ 2009 થી ફરજ બજાવતાં કંચનબેન સોલંકીએ એક વર્ષનો હિસાબ જમા જ ન કરાવતા જામનગર રોડ પર ભોમેશ્વર પ્લોટમાં રહેતા અને પંજાબ ઓટો મોબાઇલ્સમાં સર્વીસ મેનેજર તરીકે ફરજ બજાવતા ભાર્ગવભાઈ પરમાર (ઉ.વ.34) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કંચનબેન ઉકા સોલંકી (રહે.ખોડીયાર ફલોર મીલ, ત્રીવેણીનગર મેઇન રોડ, એચ.જે.દોશી હોસ્પીટલ પાસે, ગુરુપ્રસાદ ચોક, હાલ કણકોટ રોડ) નું નામ આપતાં તાલુકા પોલીસે બીએનએસ એકટ 316(4) હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે, ગ્રાહક પોતાનુ વાહન લેવા માટે આવે ત્યારે કંચનબેન સોલંકી જોબકાર્ડ મુજબનો ચાર્જ ગ્રાહક ઓનલાઈન ભરવા માંગતા હોય તો ઓનલાઇન અને રોકડમાં ભરવા માંગતા હોય તો ગ્રાહક પાસેથી રૂપીયા મેળવી જોબકાર્ડમાં ગ્રાહકની સહી લઇ ગ્રાહકને બીલ આપતા તેમજ શહેર ખાતે આવેલ અન્ય બે બ્રાંચો આમ્રપાલી તથા બ્રહ્મસમાજ ચોકમાં આવેલ બ્રાંચનો પણ રોજે રોજનો હિસાબ બીજા દિવસે કંચનબેન સોલંકી પાસે જોબકાર્ડ તથા ઇનવોઇસ જમા કરાવતા હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. જે નાણા અંગત ઉપયોગ માટે લઈ ઉચાપત કરી હોવાનું જણાવ્યુ હતુ. સામાન શિફ્ટ કરતા પરિવારની નજર ચૂકવી ચોર રૂ.2.29 લાખના મુદ્દામાલ સાથેની થેલી ચોરી ગયો બાબરીયા કોલોની ક્વાર્ટર બ્લોક નં.02 માં ક્વાર્ટર નં.06 માં રહેતાં સરમનભાઈ રઘુભાઈ ઓડેદરા (ઉ.વ પર) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે સિક્યુરીટી ગાર્ડમા નોકરી કરે છે. ગઈકાલે વહેલી સવારના સમયે તેઓને મકાન ખાલી કરી અન્ય જગ્યાએ રહેવા જવાનુ હોવાથી સવારના 6 વાગ્યાની આસપાસ ઘરનો સામાન ખાલી કરી પત્ની તથા બંને દીકરી સામાન નીચે ઉતારતા હતા. જે દરમિયાન ત્યા નજીકમા રહેતો ભાવેશ ધોબી નામનો માણસ જેને સામાન ખાલી કરવા મદદરૂપ થવા બોલાવ્યો હતો. જેથી બધા સામાનને પ્લાસ્ટીકના બાચકામા ગત તા.02 ના રાત્રીના સમયે ભરી રાખ્યા હતા. તે તમામ બાચકા બ્લોકની નીચે રોડ પર રાખ્યા હતા. જેમા એક પ્લાસ્ટીકના બાચકામા થેલીમા રૂ.1,13,933 ની કિંમતનો સોનાનો ચેન, રૂ.45,645 ની કિંમતની બે જોડી સોનાની બુટી તથા રૂ. 70 હજારની રોકડ હતી. જોકે તમામ સામાન ટેમ્પામા શિફટ થઈ ગયા બાદ ત્યા નજીકમા બાબરીયા રોડ પર આવેલ મકાન ભાડે રાખેલ ત્યા ગયા અને જોયું તો સોનાના દાગીના તથા રોકડ રકમ ભરેલી થેલી ગાયબ હતી.જેથી રૂ.2.29 લાખના મુદામાલની ચોરીની ફરિયાદ નોંધાતા ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તસ્કરને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. તારૂ મર્ડર કરી ભેજું બહાર કાઢી નાખીશ તેમ કહી મહિલાને પડોશી પિતા-પુત્રની ધમકી દૂધસાગર રોડ પર રહેતી મહિલાને પાડોશમાં રહેતા પિતા-પુત્રએ ખૂનની ધમકી આપ્યાનો બનાવ થોરાળા પોલીસના ચોપડે નોંધાયો હતો. મકાન પચાવી પાડવા પાડોશીઓ અવાર નવાર ઈંટના ઘા કરી તેમજ મકાન આગળ રેંકડીઓ ઉભી રાખી ત્રાસ આપતાં હોય યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે દૂધસાગર રોડ પર હૈદરી ચોક નજીક ભગવતી સોસાયટી શેરી નં.-01 માં રહેતી 35 વર્ષીય મહિલા નફીસાબેન કરીમભાઈ મોદીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા કાદર હૈદર ચોપડા, ફારૂક કાદર ચોપડા નામના પિતા-પુત્રનું નામ આપી જણાવ્યું હતું કે, ગત તા.07/11/2025 ના તેણી ઘરે હતી ત્યારે ઘરની બાજુમાં રહેતા કાદરભાઈ ચોપડા તથા તેનો દીકરો ફારૂક તેણી અને માતાને શેરીમાં આવીને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતો. જેથી ઘરની બહાર નીકળી તેમને ગાળો આપવાની ના પાડી હતી. જેથી હુ તને જોઇ લઇશ, તુ વિચારી પણ નહીં શકે તેવા તારા હાલ કરી નાખીશ તેમ કહી ધમકી આપી હતી નજીકમાં પડેલ ઇંટ ઉપાડેલ હતી. બાદમાં તારૂ તો આજે મર્ડર કરી નાખવુ છે અને તારૂ ભેજું કાઢી નાખીશ તેવી ધમકી આપી હતી. ઇમિટેશનનું કામ કરતા યુવાનનો આર્થિક ભીંસથી કંટાળી આપઘાત રવિભાઈ જેન્તીભાઈ પાલા (ઉં.વ. 44, રહે.નંદનવન સોસાયટી, કોઠારીયા રોડ, રણુજા મંદિર પાસે, રાજકોટ)એ આજે સવારે પોતાના ઘરે ગળાફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.પરિવારને જાણ થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા આજીડેમ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પુછપરછમાં જાણવા મળેલ કે, મૃતકના તેમના પત્ની સાથે અગાઉ છૂટાછેડા થઈ ગયા હતા. રવિભાઈ 2 ભાઈમાં મોટા હતા અને ઇમિટેશનનું કામ કરતા હતા. અયોધ્યા ચોકમાં સાયકલ સવારને ફાંગોળી કારચાલક ફરાર : CCTV વાયરલ શહેરના શીતલ પાર્ક ચોકમાં ધ સ્પાયર બિલ્ડીંગમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા અશોકભાઈ મોહનભાઈ મકવાણા (ઉં.વ. 56, રહે માધાપર ચોકડી પાસે, ઝૂંપડપટ્ટીમાં) ગઈકાલે સાંજે 7 વાગ્યા આસપાસ પોતે સાયકલ લઈને ઘરેથી નોકરી પર જતા હતા ત્યારે અયોધ્યા ચોક પાસે અજાણી કારના ચાલકે તેઓને હડફેટે લેતા ઈજા પહોંચી હતી. જોકે કાર ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો જેથી ત્યાં હાજર લોકોએ ઈજાગ્રસ્ત અશોકભાઈને 108 એમ્બયુલન્સમાં સિવિલ હોસ્પિટલ સાથે ખસેડ્યા હતા. ખોરાણામાં રાત્રે બંધ ઘરમાંથી તસ્કરો રૂ.,1.70 લાખની મતા ચોરી ગયા ખોરાણા ગામે રામાપીરના મંદિર પાસે રહેતા દિનેશભાઈ પાંચાભાઇ સોલંકી (ઉ.વ. 35) દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં પત્ની પૂજા, પુત્ર માહિર (ઉ.વ. 10) સાથે રહે છે અન્ય પુત્રી જાગૃતિ પિતા પાંચાભાઇ સોલંકી તથા માતા મુક્તાબેન સાથે રહે છે. યુવાન ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા મનસુખભાઈ ભીમજીભાઇ પટેલની વાડી વાવવા રાખી છે અને છેલ્લા થોડા સમયથી યુવાનના માતા-પિતા મનસુખભાઈની વાડીમાં રહે છે.યુવાનની પત્ની પૂજાને ખેતી કામ કરતા સમયે હાથમાં ઇજા થતાં પત્ની તથા સંતાનો મનસુખભાઈની વાડીએ છેલ્લા ત્રણ દિવસથી રહેવા ગયા છે. આ દરમિયાન યુવાન ગઈકાલે સાંજના સાથે 7 વાગ્યા આસપાસ તે વાડીએથી ઘરે આવી દિવાબત્તી કરી 8 વાગ્યે ઘરને તાળું મારી વાડીએ જતો રહ્યો હતો. બાદમાં આજરોજ સવારના 6 વાગ્યે પાડોશમાં રહેતા મનસુખભાઈ સાંગાણીનો ફોન આવતા ઘરે આવીને જોતા ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હોય લોખંડનો કબાટ જેને તાળું માર્યું હતું તે તાળું તૂટેલું હતું અને દરવાજો ખુલ્લો હોય તિજોરીમાં જોતા તેમાં રાખેલ રોકડ રકમ રૂપિયા 80 હજાર જે અઠવાડિયા પહેલા જ કપાસ વેચ્યો હતો.તેના પૈસા આવ્યા હોય તે રાખ્યા હતા. તે તથા સોના ચાંદીના દાગીના જેમાં સોનાની એક જોડી બુટ્ટી કાનસર સહિત એક તોલા કિંમત રૂ. 35,000 ગળામાં પહેરવાનું સોનાનું ચેન કિંમત રૂ. 35,000 પેન્ડલ કિંમત રૂ. 10,000 ચાંદીના સાંકડા બે જોડી કિંમત રૂપિયા 10,000 સહિત કુલ રૂ.1.70 લાખની મત્તા તસ્કરો ચોરી કરી ગયા હતા. જે અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોના સગડ મેળવવા ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબીની ટીમોએ તપાસ હાથ ધરી છે. સ્નૂકર ક્લબના સંચાલક પર જૂના મનદુઃખમાં 2 પડોશી શખ્સોનો હૂમલો મોટામવામાં આશુતોષ રેસિડેન્સીમાં રહેતાં પરેશભાઈ માનસિંગભાઈ મકવાણા (ઉ.વ.40) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે તેમની માતા વીણાબેન સાથે રહે છે. તે ભગતસિંહ ગાર્ડન સામે શિવ શક્તિ કોલોની ખૂણા પાસે સ્નૂકર ક્લબ ચલાવે છે. ગત રાત્રિના 12.30 વાગ્યાની આસપાસ મિત્ર ડાભી તથા મિત્ર હૈનીલ પટેલ સાથે ઉભા હતા. જે દરમિયાન ક્લબની પાડોશમાં રહેતો ઉમંગ પટેલ તથા તેનો મિત્ર રવિ ઝાલા સ્કૂટર ઉપર ત્યાં આવ્યા હતા અને જૂની વાતનું મનદુખ રાખી બોલાચાલી કરવા લાગ્યો હતો ત્યારે હેનીલ વચ્ચે પડતા તેને ગાળો આપી રવિ ઝાલાએ હેનીલ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. જે બાદ હેનીલ ત્યાંથી ચાલ્યો ગયો હતો. જેથી રવિને સમજાવતા આ બંને શખ્સો તેમની અને દિવ્યેશની સાથે બોલાચાલી કરી ઝઘડો કરી દિવ્યેશને પણ ઢીકાપાટુનો માર મારવા લાગ્યા. જેથી દિવ્યેશ તેના મિત્ર સાથે ત્યાંથી ચાલ્યો ગયો હતો.બાદમાં ઉમંગ તથા રવિ ગાળો આપી કહેવા લાગ્યા હતા કે, તને બહુ હવા છે, તારી સાથે પણ આજે સમજી લેવું છે, તેમ કહી ઢીકાપાટુનો માર મારવા લાગતા યુવાન નીચે પડી ગયો હતો. તે વખતે ઉમંગ કહેવા લાગેલ કે, આ બાબતે તે ફરિયાદ કરી છે, તો તને જાનથી મારી નાખીશ તેમ કહી મને છાતીના ભાગે પાટા માર્યા હતા. બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા ખાડાને લીધે બાઇક સ્લીપ થતા પ્રૌઢનું સારવારમાં મોત કિશોરભાઈ વલ્લભભાઈ ભરડવા (ઉં. વ. 51, રહે.રાજનગર સોસાયટી શેરી નંબર 5, નાનામોવા મેઈન રોડ, રાજકોટ) ગત તા.1 ડિસેમ્બરના બાઈક પર શાપર પોતાના મિત્રના લગ્નમાં ગયા હતા ત્યાંથી રાત્રિના 10 વાગ્યા આસપાસ પરત રાજકોટ આવતા હતા. ત્યારે પારડી બ્રિજ ઉપર રસ્તા પર ખાડાના લીધે બાઈક સ્લીપ થઈ ગયું હતું. જેમાં કિશોરભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી. જેથી તેમને પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં સારવાર દરમ્યાન આજે તેમનું મોત નીપજ્યું છે. કિશોરભાઈ ફરસાણના વેપારી છે. ચંદન પાર્કમાં ભરત નમકીન નામે તેમની પેઢી છે. તેમને સંતાનમાં 1 દીકરો છે. તેઓ પોતે 2 ભાઈ 1 બહેનમાં નાના હતા.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 8:36 pm

હત્યાના આરોપીને આજીવન કેદની સજા:પત્નીના આડા સંબંધનો વહેમ રાખીને યુવકની હત્યા કરવાના કેસમાં આરોપીને સાવલી કોર્ટે આજીવન કેદની સજા ને 20 હજારનો દંડ ફટકાર્યો

વડોદરા જિલ્લાના સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુનાના આરોપીને સાવલી અધિક સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા અને 20 હજારનો દંડ ફટકાર્યો છે અને જો દંડ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ એક વર્ષની સજાનો આદેશ કર્યો છે. કાર ચઢાવીને બંને બાઇક સવારોને ગંભીર ઈજાઓ પહોંચાડીવર્ષ-2021માં આરોપી અજય હરમાનભાઈ ઠાકરડા (રહે વસનપુરા, તા.સાવલી, જી.વડોદરા)એ પોતાની પત્ની સાથે આડા સંબંધનો વહેમ રાખીને બે યુવકો પર કાર ચઢાવીને ગંભીર ઈજાઓ પહોંચાડીને ચાકુ વડે હુમલો કરીને હત્યા કરી નાખી હતી. પોતાના જ ગામના અશોકભાઈ ઠાકરડા સાથે પ્રેમ સંબંધનો વહેમ રાખીને બનાવના દિવસે સવારે અશોકભાઈ ઠાકરડા તથા તેના મિત્ર રાજુભાઈ કાંતિ ભાઈ ઠાકરડા વહેલી સવારે બાજુના ગામમાં દૂધ ભરવા માટે બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે વસનપુરા રોડ પર કાર ચઢાવીને બંનેને બાઇક સવારોને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આરોપીને આજીવન કેદની સજા અને 20 હજારનો દંડ ફટકાર્યોરાજુભાઈ ઠાકરડા અને તેના મિત્ર અશોકભાઈ ઠાકરડાને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં રાજુભાઈ ઠાકરડા સારવાર બાદ ઘરે આવી ગયા હતા અને થોડા દિવસો બાદ રાજુભાઈ ઠાકરડાનું મોત થયું હતું. જેથી, સાવલી પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ થયો હતો. હત્યાનો આ કેસ સાવલીની અધિક સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખીને દોષિત અજયને આજીવન કેદની સજા ફટકારી છે અને 20 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 8:35 pm

ગેનીબેન ઠાકોરે સંસદમાં ખાતર અછતનો મુદ્દો ઉઠાવ્યો:ગુજરાતમાં યુરિયાની કાળાબજારી અને અછત પર ચિંતા વ્યક્ત કરી

કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સંસદમાં ગુજરાતના ખેડૂતોને યુરિયા ખાતરની અછત અને તેની કાળાબજારીનો ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે બનાસકાંઠા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓ પર સદનનું ધ્યાન દોર્યું હતું. સાંસદ ઠાકોરે જણાવ્યું હતું કે રવિ સિઝન હોવા છતાં, ખેડૂતોને યુરિયા ખાતર માટે લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે. ઘણા દિવસોથી ખેડૂતો દ્વારા ખાતરની માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ ગુજરાત અને કેન્દ્ર સરકાર તરફથી પૂરતું યુરિયા ખાતર ઉપલબ્ધ થઈ રહ્યું નથી. તેમણે ટિપ્પણી કરી હતી કે ગુજરાતમાં શરાબ અને ડ્રગ્સની હોમ ડિલિવરી સરળતાથી થાય છે, પરંતુ ખેડૂતોને યુરિયા મળતું નથી. તેમણે આ સ્થિતિને ગુજરાત મોડેલ ગણાવી હતી.ગેનીબેન ઠાકોરે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી કે બ્લેક માર્કેટિંગમાં વેચાતા ખાતર પર પ્રતિબંધ મૂકવામાં આવે અને ખેડૂતોને સમયસર અને પૂરતું યુરિયા ખાતર મળી રહે તેની ખાતરી કરવામાં આવે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 8:28 pm

વેરાવળમાં તમાકુ નિયંત્રણ અભિયાન અંતર્ગત સઘન રેડ:26 કેસ નોંધાયા, ₹6200નો દંડ વસૂલ કરાયો

ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાય અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ વેરાવળ શહેરમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ટીમે સઘન રેડ પાડી હતી. આ કાર્યવાહી દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં કુલ 26 કેસ નોંધાયા અને રૂ. 6200નો દંડ વસૂલ કરવામાં આવ્યો. તંત્ર દ્વારા જણાવાયું છે કે તમાકુ નિયંત્રણ અધિનિયમ–2003 મુજબ, 18 વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુ ઉત્પાદનો વેચવા એ ગુનો છે. દુકાનદારો માટે 18 વર્ષથી નાની વયના બાળકને તમાકુ ન વેચશો તેવો બોર્ડ લગાવવો ફરજિયાત છે. જોકે, શહેરની અનેક દુકાનોમાં આવા બોર્ડ લગાવવામાં આવ્યા ન હોવાથી ટીમે દંડાત્મક કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત, શૈક્ષણિક સંસ્થાની 100 મીટર ત્રિજ્યામાં તમાકુ વેચવું પણ કલમ 6(બ) મુજબ ગુનો ગણાય છે. આવી જગ્યાઓની આસપાસ આવેલી દુકાનોમાં તમાકુ અને તેની બનાવટોનું વેચાણ થતું જોવા મળતાં ટીમે દંડ વસૂલ કર્યો હતો. રેડ દરમિયાન, દુકાનદારોને ઈ-સિગારેટ અને છૂટક સિગારેટ ન વેચવા માટે ખાસ ચેતવણી આપવામાં આવી હતી. તંત્ર દ્વારા સ્પષ્ટ કરાયું છે કે આવા ચેકિંગ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 8:15 pm

કાલીબેલ આશ્રમશાળામાં દીપડો પાંજરે પુરાયો:વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભયમુક્ત થતા રાહત

ડાંગ જિલ્લાની કાલીબેલ આશ્રમશાળાના પરિસરમાં છેલ્લા ઘણા દિવસોથી દહેશત ફેલાવનાર દીપડો આજે વહેલી સવારે પાંજરે પુરાયો છે. વનવિભાગની ટીમે દીપડાને પકડી પાડતા વિદ્યાર્થીઓ, સ્ટાફ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. આશ્રમશાળાના કેમ્પસમાં દીપડાની સતત અવરજવરને કારણે વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભયનો માહોલ હતો. ખાસ કરીને સવાર-સાંજ દીપડો શાળાની આસપાસ ફરતો જોવા મળતા કર્મચારીઓ, શિક્ષકો અને ગ્રામજનોમાં ભારે ચિંતા વ્યાપી હતી. આશ્રમશાળાના આચાર્યએ પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં લઈ તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને દીપડાને પકડવા માટે આશ્રમશાળાના પરિસરમાં વ્યૂહાત્મક રીતે પાંજરું ગોઠવ્યું હતું. અનેક દિવસોની રાહ જોયા બાદ આજે વહેલી સવારે દીપડો પાંજરામાં સપડાયો હતો. વનવિભાગની ટીમે કુશળતાપૂર્વક દીપડાનો કબજો લઈ તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. દીપડો પકડાતા જ સમગ્ર ગામ અને આશ્રમશાળામાં ખુશી અને રાહતનો માહોલ છવાઈ ગયો હતો. આશ્રમશાળાના આચાર્યએ જણાવ્યું કે વનવિભાગની સમયસરની કાર્યવાહીને કારણે કોઈ અનિચ્છનીય ઘટના બની નથી અને બાળકો હવે સુરક્ષિત છે. ગ્રામજનોએ પણ વનવિભાગની ત્વરિત કામગીરીને બિરદાવી હતી. વનવિભાગના અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું કે જંગલ વિસ્તાર માનવ વસાહતની સરહદે આવેલો હોવાથી વન્યજીવોની અવરજવર સામાન્ય છે. તેમણે આવી પરિસ્થિતિમાં સતર્ક રહેવા અને તાત્કાલિક જાણ કરવા વિનંતી કરી હતી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 8:09 pm

બોટાદ ટ્રાફિક પોલીસે ચોરાયેલી બાઇક સાથે એકને ઝડપ્યો:વઢવાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનડિટેક્ટ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો

બોટાદ ટ્રાફિક પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી એક મોટરસાઇકલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન વઢવાણની અનડિટેક્ટ મો.સા. ચોરીનો ભેદ ઉકેલાયો છે. બોટાદ જિલ્લા ટ્રાફિક શાખાના PSI એમ. એમ. રાવલ અને બી. વી. ચૌધરી તેમની ટીમ સાથે શહેરના સ્ટેશન રોડ, જુની કોર્ટ બિલ્ડિંગ પાસે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન, નંબર પ્લેટ વગરની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ સાથે એક શંકાસ્પદ શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે પૂછપરછ કરતાં શખ્સે પોતાનું નામ લાલજીભાઈ ધીરૂભાઈ સાંકળીયા જણાવ્યું હતું. તેની પાસે મોટરસાઇકલના કોઈ દસ્તાવેજ ન મળતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ મોટરસાઇકલ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી હતી અને તે અંગેનો ગુનો વઢવાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે. આરોપી લાલજીભાઈએ મોટરસાઇકલની માલિકી અંગે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. ટ્રાફિક પોલીસે રૂ. 20,000ની કિંમતની મોટરસાઇકલ B.N.S.S. કલમ 106 હેઠળ જપ્ત કરી છે. આરોપી લાલજીભાઈ સાંકળીયાની B.N.S.S. કલમ 35(1)(ઇ) મુજબ ધરપકડ કરવામાં આવી છે. બોટાદ ટ્રાફિક શાખાએ આ રીતે અનડિટેક્ટ મો.સા. ચોરીનો ગુનો સફળતાપૂર્વક શોધી કાઢ્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 8:06 pm

સુરતમાં આગના ત્રણ બનાવો:પાર્લે પોઇન્ટમાં મેરિયોટ હોટલના સ્ટાફના બિલ્ડિંગમાં આગથી અફરાતફરી, કતારગામમાં બંધ મકાનમાં આગ; પુણામાં ઝૂંપડું સળગીને ખાખ, કોઈ જાનહાનિ નહીં

સુરત શહેરમાં આજે આગ લાગવાની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી હતી, જેમાં એક બનાવ પોશ ગણાતા પાર્લે પોઇન્ટ વિસ્તારમાં અને બીજો બનાવ કતારગામ વિસ્તારમાં બન્યો હતો. જ્યારે પુણા વિસ્તારમાં ઝૂંપડાંમાં આગ લાગતા થઈ નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે, ત્રણેય ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી અને ફાયર બ્રિગેડે સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. પહેલા બનાવમાં પાર્લે પોઇન્ટ વિસ્તારમાં મેરિયોટ હોટલ નજીક આગ પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત મેરિયોટ હોટલની બાજુમાં આવેલા એક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. મેરિયોટ હોટલની બાજુમાં આવેલું મકાન જે મકાનમાં આગ લાગી હતી, તે મકાનમાં મેરિયોટ હોટલનો સ્ટાફ રહેતો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, આ આગ લાગવાનું કારણ મોબાઈલના ચાર્જિંગમાં શોર્ટ-સર્કિટ થવાથી આગ લાગી હોવાનું માનવામાં આવે છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ટીમે ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીની મિનિટોમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થવા પામી નથી. બીજા બનાવમાં કતારગામના ત્રિભોવન નગર સોસાયટીમાં બંધ મકાનમાં આગ આગ લાગવાનો બીજો બનાવ શહેરના કતારગામ વિસ્તારમાં સામે આવ્યો હતો. કતારગામ વિસ્તારમાં આવેલી ત્રિભોવન નગર સોસાયટીમાં એક બંધ મકાનમાં અચાનક આગ લાગી હતી. કતારગામ વિસ્તારમાં આવેલી ત્રિભોવન નગર સોસાયટીના બંધ મકાનમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ કતારગામ ફાયર સ્ટેશનની કુલ ચાર ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને આગળ વધતી અટકાવી હતી અને તેના પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો. બંધ મકાનમાં આગ કયા કારણોસર લાગી હતી, તે હાલ અકબંધ છે અને ફાયર વિભાગ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગની સમયસર અને ઝડપી કામગીરીના કારણે બંને સ્થળોએ આગને વ્યાપક નુકસાન થતાં અટકાવવામાં આવ્યું હતું અને કોઈ જાનહાનિ થઈ ન હતી. ત્રીજા બનાવમાં પુણાગામમાં ઝૂંપડાંમાં આગ લાગતા થઈ નાસભાગ પુણાગામમાં ભક્તિધામ મંદિર પાસે આવેલા હળપતિવાસમાં આજે શુક્રવારે સવારે એક ઝૂંપડામાં આગ ફાટી નીકળતા ત્યાં હાજર લોકોમાં ગભરાટ ફેલાતા ભાગદોડ થઈ જવા પામી હતી ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ પુણાગામમાં ભક્તિધામ મંદિર પાસે આવેલી હળપતિવાસમાં રહેતા લક્ષ્મીબેન રાઠોડના ઝૂંપડામાં આજે શુક્રવારે સવારે અચાનક આગ ભડકી ઉઠી હતી જેથી આજુબાજુના લોકોમા ભય ફેલાતા તરત બહાર દોડી આવ્યા હતા જોતજોતામાં આગ ફેલાતા ત્યાં વધુ પ્રમાણમાં ધુમાડો નીકળતા હાજર લોકો ભાગદોડ થઈ જવા પામી હતી. ફાયરે આજુ બાજુના ઝૂપડાંઓને બચાવી લીધા હતા. આગના લીધે, ઘરવખરી, કપડા, ગાદલા, પંખો સાહિતની ચીજવસ્તુઓને નુકશાન થયું હતું. ફાયર વિભાગે અડધો કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 8:06 pm

ગિરનાર રોપ-વે પર મોકડ્રિલ:રોપ-વે પર ઈમરજન્સીની પરિસ્થિતિનો સામનો કરવા મોકડ્રિલનું આયોજન, 15 મિનિટમાં 9 ‘બેભાન’ પર્યટકોનું સફ્ળ રેસ્ક્યુ,

જૂનાગઢ: ધાર્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા ગિરનાર પર્વત પર આવેલા પવિત્ર યાત્રાધામ અંબાજી અને દત્તાત્રેયના દર્શન કરવા માટે રોપ-વે મારફત મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ જોવા મળે છે. લાખો શ્રદ્ધાળુઓ અને પર્યટકોની અવરજવર વચ્ચે કોઈ અનિશ્ચિત બનાવ બને તો તંત્ર કેટલું સજ્જ છે, તેની ચકાસણી માટે આજે સાંજે ગિરનાર રોપ-વે ખાતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને 'ભાગદોડ'નો કોલ ​જૂનાગઢ ડિઝાસ્ટર વિભાગના ઇન્ચાર્જ મામલતદાર મહેશકુમાર દવેએ આ ઘટના અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આજે સાંજે ભવનાથમાં ગિરનાર રોપ-વે ખાતે ઉષા બ્રેકો કંપનીના લોઅર સ્ટેશનમાં અચાનક ભાગદોડ મચી ગઈ હોવાનો અને અનેક પર્યટકો બેભાન થયા હોવાનો મેસેજ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને મળ્યો હતો. આ કોલ મળ્યાના માત્ર 10 મિનિટના ટૂંકા ગાળામાં જ ડિઝાસ્ટરની ટીમો સાથે NDRFની ટુકડી, પોલીસ, ફોરેસ્ટ વિભાગ, આરોગ્ય વિભાગની ટીમો અને ફાયર બ્રિગેડ સહિતના તમામ સંબંધિત વિભાગોની ટીમો રોપ-વે ખાતે દોડી આવી હતી. ટીમોએ તાત્કાલિક એલર્ટ એલાર્મ વગાડીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ​15 મિનિટમાં 9 લોકોનું સફ્ળ રેસ્ક્યુ ​રેસ્ક્યુ ટીમો જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે રોપ-વેના લોઅર સ્ટેશનના પરિસર વિસ્તારમાં તેમજ અમુક ટ્રોલીઓમાં કેટલાક પર્યટકો અને રોપ-વેના કર્મચારીઓ બેભાન હાલતમાં પડેલા હતા. ત્વરિત રેસ્ક્યુ ટીમ અને આરોગ્ય વિભાગની ટીમોએ તમામ લોકોને બહાર કાઢ્યા હતા.બેભાન થયેલા લોકોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. વધુ સારવાર માટે તમામ લોકોને 108એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.માત્ર 15 મિનિટના સઘન ઓપરેશન દરમિયાન રોપ-વેની ટ્રોલીમાં ફસાયેલા અને પરિસરમાં બેભાન થયેલા મળીને કુલ નવ જેટલા પર્યટકો અને કર્મચારીઓને ‘બચાવી’ લેવામાં આવ્યા હતા. મોકડ્રિલનો હેતુ અને સજ્જતાની ચકાસણી ​ડિઝાસ્ટર ઇન્ચાર્જ મામલતદાર મહેશકુમાર દવેએ જણાવ્યું હતું કે આખું ઓપરેશન એક મોકડ્રિલ હતું. તેમણે જણાવ્યું કે, એનડીઆરએફની ટીમને નિયમ અનુસાર વર્ષમાં બે વખત આવી મોકડ્રિલ કરવાની હોય છે, જે અંતર્ગત આજે ગિરનાર રોપ-વે ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ કામગીરી દરમિયાન એનડીઆરએફની ટીમ તેમના તમામ સાધનો સાથે સંપૂર્ણ માસ્ક પહેરીને પહોંચી હતી અને સફળતાપૂર્વક કામગીરી કરી હતી. આ મોકડ્રિલ દરમિયાન તમામ વિભાગે ત્વરિત રિસ્પોન્સ આપીને સાબિત કર્યું કે ભીડવાળી જગ્યાએ કોઈ અનિશ્ચિત પરિસ્થિતિ ઊભી થાય તો જાનમાલની નુકસાની અટકાવવા માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. આ મોકડ્રિલનો મુખ્ય હેતુ ગિરનાર જેવા સંવેદનશીલ સ્થળે ડિઝાસ્ટર મેનેજમેન્ટની તૈયારીઓનું મૂલ્યાંકન કરવાનો હતો.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 8:03 pm

શિક્ષણ વિભાગે આખરે ભૂલ સુધારી: ધુળેટીના બદલે હવે આ તારીખે લેવાશે ધો.10-12 બોર્ડની પરીક્ષા

Gujarat STD.10-12 Board Exam : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કર્યુ હતું. જેમાં 4 માર્ચના રોજ ધુળેટીની જાહેર રજા હોવા છતાં પેપરનું આયોજન કરાતા વાલી-વિદ્યાર્થી મૂંઝવણમાં મૂકાયા હતા. જોકે, આ મામલે શિક્ષણ બોર્ડે ભૂલ સુધારીને બોર્ડની પરીક્ષાની તારીખ બદલી હોવા અંગે પરિપત્ર જાહેર કર્યો છે.

ગુજરાત સમાચાર 5 Dec 2025 8:02 pm

સિંધુભવન રોડ પર બાઇકની ટક્કરની અદાવતમાં ખૂની ખેલ:તલવારથી માથા પર ઘા મારી યુવકને ગંભીર રીતે ઘાયલ કર્યો, ચાર આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો

અમદાવાદમાં દિન-પ્રતિદિન સામાન્ય બાબતોમાં મારામારીની ઘટનાઓ વધી રહી છે. શહેરના સિંધુભવન રોડ પર બાઈકની સામાન્ય ટક્કર થતાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. યુવકને માથાના ભાગે તલવારનો ઘા મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે, જ્યાં તેની ફરિયાદના આધારે પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાઈક ચાલકે ટક્કર મારતાં બંને નીચે પડ્યા હતામળતી માહિતી મુજબ વચનારામ રબારી નોકરી પૂરી કરીને તેમના સહકર્મી પ્રવીણ હિરાગર અને અન્ય સ્ટાફ સાથે સિંધુ ભવન રોડ પર સુપર માર્કેટની બહાર ઊભા હતા. તે સમયે એક બાઈક ચાલકે પ્રવીણ હિરાગરને ટક્કર મારતાં બંને નીચે પડ્યા હતા. નીચે પડ્યા બાદ ઉશ્કેરાયેલા મોટરસાયકલ ચાલક અને તેના સાથીએ પ્રવીણ હિરાગરને માર મારવાનું શરૂ કર્યું હતું. આ ઝઘડામાં વચનારામ રબારી અને અન્ય સહકર્મી જગદીશ ભાઈએ વચ્ચે પડીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણ અજાણ્યા શખસોએ તલવાર લઈને હુમલો કર્યો હતોબાઈક ચાલક કમલેશ પરમારે તેના સાથીદાર વાસુને તેના અન્ય માણસો હિમ્મત અને ચેતનને હથિયાર સાથે બોલાવી લાવવા કહ્યું હતું. કમલેશ પરમાર અને વાસુ સાથે ત્રણ અજાણ્યા શખસો ત્યાં તલવાર લઈને આવી પહોંચ્યા હતા. તે પૈકીના એક શખસે હાથમાં તલવાર લઈને ફરિયાદી વચનારામ રબારી પર જાનથી મારી નાખવાના ઈરાદે માથાના ભાગે ઘા કરી જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને લોહીલુહાણ હાલતમાં સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેના માથામાં ટાંકા આવ્યા છે અને સારવાર ચાલી રહી છે. હુમલો કર્યા બાદ ચારેય આરોપીઓ ધમકી આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા, જેમના વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:59 pm

Editor's View:મોદી-પુતિનની મુલાકાત, ટ્રમ્પને મરચાં લાગ્યા; ડિફેન્સ ડિલનો ‘ડ’ પણ ન થયો; પાકિસ્તાન બેબાકળું બન્યું

પુતિન-મોદીની મુલાકાત, બંને દેશો વચ્ચે 7 ડિલ અને ઓઈલ ટ્રેડ માટે ખુલ્લાદોરની વાતથી ટ્રમ્પને બરાબરનાં મરચાં લાગ્યાં છે. ટ્રમ્પે ભારતને ધમકાવ્યું, ટ્રમ્પે રશિયાને ધમકાવ્યું પણ બંનેમાંથી કોઈ અમેરિકા સામે ઝૂક્યા નહિ. પુતિન ભારત આવ્યા. મોદીની જ કારમાં બેસીને ડીનર માટે પહોંચ્યા. બંને દેશોના મજબૂત સંબંધો દુનિયાએ જોયા. આમાં પાકિસ્તાનને પણ પેટમાં દુખ્યું. કારણ કે પાકિસ્તાનની નજર ડિફેન્સ ડિલ પર હતી. ભારત-રશિયા કેવી ડિફેન્સ ડિલ કરે છે, તે વાત બહાર આવી જાય તો અમે ટ્રમ્પ પાસે જઈને 'કજિયા' કરી શકીએ. પણ મોદી આ મામલે ગેમ ચેન્જર નીકળ્યા. તેમણે બંધ બારણે પુતિન સાથે હથિયારોની ડિલ કરી હશે તો પણ જાહેર થયું નથી. એટલે પાકિસ્તાન વધારે બેબાકળું બન્યું છે. આજે એ જ રશિયાના રાષ્ટ્રપતિ દિલ્હીથી ભારતને કહી રહ્યા છે - 'તમને જોઈએ એટલું ક્રૂડ ઓઈલ અમે આપીશું, અને તે પણ કોઈ પણ રોકટોક વગર'. જયારે પુતિને દિલ્હીની ધરતી પર પગ મૂક્યો, એ જ દિવસે 'ડોલરની દાદાગીરી' સામે એક નવો મોરચો ખૂલી ગયો. આ માત્ર મુલાકાત નથી, આ ગ્લોબલ પાવર શિફ્ટ છે. પુતિનની ભારત મુલાકાતથી ટ્રમ્પને બરાબરના મરચાં લાગ્યા છે. શુક્રવારે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં જે મંત્રણાઓ થઈ, તે માત્ર બે દેશો વચ્ચેના વેપાર કરાર નથી. આ એક બદલાતી વૈશ્વિક વ્યવસ્થાનો દસ્તાવેજ છે. આજે જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધને ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે, ત્યારે પુતિનની ભારત મુલાકાત એ સાબિત કરે છે કે ગ્લોબલ સાઉથમાં ભારતનો દબદબો કેટલો છે. આ મુલાકાતનો સીધો સંબંધ તમારી કારના ફ્યુઅલ ટેન્કથી લઈને દેશની સરહદોની સુરક્ષા સુધી છે. આજે વાત કરીશું પુતિનની ભારત મુલાકાતની અને હગની હાઈપાવર ગેમની. નમસ્કાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની ભારત મુલાકાતે છે. 23મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં મોદી પુતિન બંધ રૂમમાં મળ્યા. પછી સૌથી મોટી જાહેરાત એ થઈ કે રશિયા ભારતને રોકટોક વગર ક્રૂડ ઓઈલ અને ફર્ટિલાઈઝર સપ્લાય ચાલુ રાખશે. બંને દેશોના વિદેશ મંત્રાલયના જોઈન્ટ સ્ટેટમેન્ટ મુજબ 2030 સુધીમાં બંને દેશોએ વેપારને 100 બિલિયન ડોલર સુધી લઈ જવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. હાલમાં ભારત અને રશિયા વચ્ચે રશિયન ઈકોનોમિક મિનિસ્ટ્રીના રિપોર્ટ મુજબ 96 ટકા વેપાર પોતાની નેશનલ કરન્સી એટલે કે રૂપિયા અને રૂબલમાં થઈ રહ્યો છે. જેને મજબૂત કરવા માટે વિશ્વના બે મોટા અર્થતંત્રના મોટા નેતાઓએ ભાર મૂક્યો છે. ભારત રશિયા વચ્ચે 19 સમજૂતી કરાર થયા જેમાં 7 મહત્વના કરાર પર નજર કરીએ તો… ભારત-રશિયા વચ્ચે 7 મોટી સમજૂતી ભારત-રશિયાની મિત્રતા ધ્રુવ તારા જેવી અટલ નરેન્દ્ર મોદી અને પુતિનની આજની એકબીજાને ભેટતી તસવીરોમાં અને તેમના બીજા ફોટોમાં તેમની બોડી લેંગ્વેજ ઘણા સંદેશાઓ આપી જાય છે. એવામાં વડાપ્રધાન મોદીએ આજે એક બહુ જ સચોટ શબ્દ વાપર્યો ધ્રુવ તારો. તેમણે કહ્યું કે ભારત-રશિયાની મિત્રતા ધ્રુવ તારા જેવી અટલ છે. આ રેફરન્સ 1971ના યુદ્ધનો છે જ્યારે અમેરિકાનું સાતમું નૌકાદળ ભારત પર હુમલો કરવા આવ્યું હતું ત્યારે જેને સોવિયત યુનિયન કહેવાતું હતું તે રશિયા અમેરિકા, બ્રિટન અને પાકિસ્તાન સામે ઢાલ બનીને ઊભું હતું અને ભારતનો સાથ આપ્યો હતો. મોદી પુતિનની ડિપ્લોમેટિક હેટ્રિક 2025ની મુલાકાતનું ટાઈમિંગ પણ જોવા અને સમજવા જેવું છે. ફેબ્રુઆરી 2022માં યુક્રેન રશિયાના યુદ્ધ પછી પુતિનની આ પહેલી ભારત મુલાકાત છે. આ ઘટના પહેલાં જુલાઈ 2024માં મોદી મોસ્કો ગયા હતા, ઓક્ટોબરમાં કઝાન ગયા હતા અને હવે પુતિન દિલ્લી આવ્યા છે. આ ડિપ્લોમેટિક હેટ્રિક સાબિત કરે છે કે પશ્ચિમના દેશોના તમામ યેનકેન પ્રયાસો અને દબાણ છતાં, દિલ્હી અને મોસ્કો વચ્ચેની હોટલાઈન ક્યારેય બંધ નથી પડી. અસલ રમત પડદા પાછળ આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં 21 તોપોની સલામી અપાઈ. રાજઘાટ પર ગાંધીજીને શ્રદ્ધાંજલિ અપાઈ. પરંતુ અસલી રમત પડદા પાછળ રમાઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે બંધબારણે સુરક્ષા અને એડવાન્સ મિલિટરી ટેકનોલોજી પર ગંભીર ચર્ચાઓ થઈ છે. કેન્દ્ર સરકારનું ફોકસ અત્યારે કનેક્ટિવિટી અને એનર્જી પર છે. રશિયા યુદ્ધમાં પરોક્ષ રીતે વ્યસ્ત છે છતાં તે ભારતના કુડનકુલમ ન્યુક્લિયર પ્લાન્ટ માટે રિએક્ટર્સ બનાવી રહ્યું છે. બિટવિન ધ લાઈન્સ કહી જાય છે કે ભારત રશિયા માટે પ્રાયોરિટી છે. ભારત યુક્રેન યુદ્ધ પર ન્યૂટ્રલ રહી ન શકેઃ મોદી આ મુલાકાત પર સૌથી વધારે ચર્ચા થઈ રહી છે તે નરેન્દ્ર મોદી અને પુતિનના બે નિવેદનો છે. જે ઘણું કહી જાય છે. કારણ કે નરેન્દ્ર મોદી બોલ્યા છે ભારત યુક્રેન યુદ્ધ પર ન્યૂટ્રલ રહી ન શકે જ્યારે પુતિને કહ્યું છે કે અમે પણ શાંતિ ઈચ્છીએ છીએ. ભારત અને દુનિયા માટે આ બે મોટા સ્ટેટમેન્ટ છે. અહીં એ પણ જોવા જેવું છે કે નરેન્દ્ર મોદીએ યુક્રેન યુદ્ધ રોકવાની વાત તો કરી પણ રશિયાની ટીકા કર્યા વગર. આ છે ન્યૂ ભારતની ડિપ્લોમસી. જવાબમાં પુતિને પણ ભારતની આ ભૂમિકાના ખૂબ વખાણ કર્યા. આ ઘટનાઓ પશ્ચિમને મેસેજ આપે છે કે અમે તમારી સાથે ક્વાડમાં છીએ પણ રશિયા સાથેની જૂની યારી તોડવાની કિંમતે નહીં. રશિયા ન હોત તો પેટ્રોલ…. હવે થોડી રૂપિયા રૂબલની વાત. રશિયા અત્યારે ભારતનું સૌથી મોટું ઓઈલ સપ્લાયર છે. અને અગાઉ આપણે વાત કરી કે 96 ટકા વેપાર હવે નેશનલ કરન્સીમાં થાય છે. ભારત અને રશિયાનો વેપાર એક વર્ષમાં 12 ટકા વધ્યો છે. આ ડોલરના વર્ચસ્વ માટે મોટો પ્રહાર છે. અહીં જોવા જેવી વાત એ છે કે જો ભારત રશિયા પાસેથી ડિસ્કાઉન્ટેડ ઓઈલ ન લેતું હોત તો આજે ભારતમાં પેટ્રોલનો ભાવ કદાચ 120 કે 130 રૂપિયા પ્રતિ લીટર હોત. ઉપરથી પુતિને ભારતને અવિરત સપ્લાયની ગેરંટી આપી. જે સીધી ભારતીયોના ઘરોના બજેટના સપોર્ટમાં છે. ભારત રશિયાનો વેપાર 100 બિલિયન ડોલરનો ટાર્ગેટ છે. 100 બિલિયન ડોલર એટલે પાકિસ્તાનના આખા વર્ષના બજેટ કરતા ડબલ રકમ. સૌથી અંડર રેટેડ વાત જો થઈ હોય તો એ છે SMRs એટલે કે સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ. આ નાના ન્યુક્લિયર પ્લાન્ટ છે. રશિયા પાસે આ ટેક્નોલોજી છે અને તે ભારતને આપશે. ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે આ SMRs ગેમ ચેન્જર સાબિત થશે. કારણ કે આ એવો રસ્તો છે જે કોલસા વગર વીજળી પેદા કરી શકે છે. જે ભવિષ્યમાં ભારતની એનર્જી સિક્યોરિટી માટે ખૂબ જરૂરી છે. ડિફેન્સની મોટી ચર્ચાઓ વચ્ચે જાહેરાત શૂન્ય ડિફેન્સની વાત કરીએ તો સુખોઈ 57 સ્ટેલ્થ ફાઈટર અને ભવિષ્યની S-500 સિસ્ટમ વગેરેની વાતો બહુ થઈ પણ બંને દેશો વચ્ચે સત્તાવાર રીતે આ મામલે કોઈ MoU નથી થયા. પણ જેની વાતો થઈ હતી તે સુખોઈ વિશે જાણવું થોડું જરૂરી છે. રશિયાનું સુખોઈ 57 ફાઈટરને આપણે એન્ડ્રોઈડ મોબાઈલ સમજી શકાય. જેની સર્વિસ તમે તમારી જરૂરિયાત મુજબ કસ્ટમાઈઝ કરી શકો છો અને રૂટ કરી શકો છો. જ્યારે અમેરિકાનું એફ 35 ફાઈટર જેટ આઈફોન જેવું છે. જેની સર્વિસ વગેરે કરાવવી હોય તો કંપની પાસે જ જવું પડે છે. વિચારો ભારત માટે કઈ સિસ્ટમ સારી.... આપણી પ્રાથમિકતા ફ્લેક્સિબિલિટી છે. પાકિસ્તાન મુંઝાયું, ભારત-રશિયાએ ગૂપચૂપ ડિફેન્સ ડિલ કરી લીધી હશે તો? ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાને મિસાઈલ અને ડ્રોન ભારત પર છોડ્યાં હતા પણ ભારત પાસે રશિયાની S-400 એર ડિફેન્સ સિસ્ટમ હતી એટલે ભારતનો વાળ પણ વાંકો થયો નહિ. પાકિસ્તાન રઘવાયું બન્યું. પાકિસ્તાનને, ખાસ કરીને મુનીરને તો અંદાજ હતો કે આજે નહિ તો કાલે રશિયા પાસેથી ભારત વધારે ડિફેન્સ સિસ્ટમ અને આધુનિક હથિયારો ખરીદશે. પણ ક્યા હથિયારો, કઈ સિસ્ટમના સોદા થશે, તેના પર પાકિસ્તાનની નજર હતી. પુતિન ભારત આવ્યા એટલે પાકિસ્તાની નેતાઓ ટીવી સામે ગોઠવાઈ ગયા, જોઈએ તો ખરા... મોદી ક્યા હથિયારો ખરીદે છે? પણ જેવું ચર્ચામાં હતું તેવું થયું નહિ. મોદીની આ સ્ટાઈલ છે. જે વસ્તુની દુનિયામાં ચર્ચા થતી હોય તેની પોતે ચર્ચા ન કરે. પુતિન-મોદીની મુલાકાત દરમિયાન ડિફેન્સની કોઈ જ ચર્ચા ન થઈ. હવે પાકિસ્તાની સરકાર અને ખાસ કરીને મુનીર મુંઝાયા હશે કે આ બંને નેતાઓ મળે ને ડિફેન્સ ડિલ ન થાય, એવું તો બને નહિ. કદાચ, બંધ બારણે ચોકઠાં ગોઠવાઈ ગયા હશે. હવે પાકિસ્તાન અકળાયું છે કે ભારત હવે રશિયા પાસેથી શું ખરીદશે? ને આપણે શું ધ્યાન રાખવું પડશે? ભારત, રશિયાને ચીનથી દૂર કરવા માગે છે હવે જરા આ મુલાકાતને ગ્લોબલ કેનવાસ પર જોડીએ. અહીં એક ઈન્ટરેસ્ટિંગ એંગલ છે જે ઘણા લોકો ચૂકી જાય છે. 1) ચીન અને રશિયા અત્યારે એકબીજાની ખૂબ નજીક છે. 2) ભારત અને ચીન વચ્ચે સરહદ તણાવ છે માટે, રશિયાને ચીનના ખોળામાં સંપૂર્ણપણે બેસી જતું અટકાવવું, એ ભારતની સૌથી મોટી સ્ટ્રેટેજી છે. જો રશિયા ચીન બાજુ વધુ વધશે. તો તે ભારતને હથિયારો આપતા અચકાશે. પણ મોદીએ પુતિનને ગળે લગાડીને ચીનને પણ આડકતરો મેસેજ આપ્યો છે કે રશિયા હજુ પણ અમારો મિત્ર છે, અને જરૂર પડ્યે અમને સપોર્ટ કરશે. રશિયાને પણ ચીન સિવાયનો એક મજબૂત વિકલ્પ જોઈએ છે જેથી તે બેઈજિંગનું 'જુનિયર પાર્ટનર' બનીને ન રહી જાય. ચીની મીડિયાએ લખ્યું, ભારત-રશિયાના સંબંધોમાં તિરાડ પાડવી મુશ્કેલ ચીની મીડિયાએ પુતિનની ભારત મુલાકાત વિશે લખ્યું છે, જેમાં નોંધ્યું છે કે આ મુલાકાત ભારત અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે. ટ્રમ્પે વારંવાર ભારત પર રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા દબાણ કર્યું છે. ચીનના સરકારી સમાચાર પત્ર શિન્હુઆએ લખ્યું છે કે ભારતને રશિયાની એનર્જી જરૂરિયાતો છે એટલે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ નહિ કરે. ગ્લોબલ ટાઇમ્સ અખબારે ચીનની ફોરેન અફેર્સ યુનિવર્સિટીના લી હૈડોંગને ટાંકીને કહ્યું છે કે રશિયા અને ભારત બંને પર અમેરિકા અને પશ્ચિમી દેશોના પ્રતિબંધો અને દબાણ સફળ થવાની શક્યતા ઓછી છે. ફુદાન યુનિવર્સિટીના દક્ષિણ એશિયા નિષ્ણાત લિન મિનવાંગે જણાવ્યું હતું કે રશિયા લાંબા સમયથી ભારતની વિદેશ નીતિમાં એક પ્રકારનું સ્ટ્રેટેજિક સેફ્ટી નેટ રહ્યું છે. એટલે બંનેના સંબંધોમાં તિરાડ પાડવી મુશ્કેલ છે. રશિયાને સ્કિલ્ડ વર્કર્સની જરૂર અને હવે જોઈએ કે ભવિષ્યમાં આ મુલાકાતની ભારત પર શું અસર થશે? પહેલું તો બંને દેશો વચ્ચે માઈગ્રેશન અને સહકાર પર કરાર થયો છે. મતલબ કે ભારતીય સ્કિલ્ડ વર્કર્સ, એન્જિનિયર્સ અને ટેક્નિશિયન્સ માટે રશિયામાં નોકરીના દરવાજા કાયદેસર રીતે ખુલી શકે છે. ગલ્ફ કન્ટ્રીઝ પછી રશિયા ભારતના લોકો માટે રોજગારીનું નવું હબ પણ બની શકે એમ છે. બીજું છે ટુરિઝમ બુસ્ટ. એટલે કે રશિયન લોકો 30 દિવસના ફ્રી ઈ-ટુરિસ્ટ વિઝા સાથે ભારત ભ્રમણ કરી શકશે. આનાથી ભારતના ટુરિઝમમાં સારી કમાણી થઈ શકે એમ છે. અને ત્રીજું અને મહત્વનું છે મેડિકલ શિક્ષણ અને હેલ્થ કરે. રશિયામાં જેટલા પણ ભારતીય વિદ્યાર્થીઓ ભણે છે તેમના માટે આ ખૂબ સારી બાબત છે. આ સિવાય બંને દેશમાં ફર્ટિલાઈઝર કે ક્રુડની અસર નહીં સર્જાય, જેના લીધે ભાવ સ્થિર રહી શકે છે. લાંબા ગાળાની અસર જોઈએ તો રશિયાથી ભારત આવતો સામાન સુએઝ કેનાલને બદલી સીધો હિંદ મહાસાગરમાં આવશે. કારણ હશે ચેન્નઈ વ્લાદિવોસ્તોક મેરીટાઈમ કોરિડોર. આના કારણે બંને દેશોનો સમય અને ખર્ચ ઘડશે. અને છેલ્લે... રાષ્ટ્રપતિ ભવનમાં પુતિન સાથે ડીનર છે. જેમાં વડાપ્રધાન મોદી અને ભાજપના મોટા નેતાઓને તો આમંત્રણ છે જ, વિપક્ષી નેતાઓને આમંત્રણ નથી. હા, મોદીએ શશી થરૂરને આમંત્રણ આપીને વિપક્ષને વગર આમંત્રણે ‘ખીચડી’ ખવડાવી દીધી છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:55 pm

પંચમહાલ SP ડૉ.હરેશ દુધાતનો ગાય દોહતો વીડિયો વાયરલ:ગૌ-તસ્કરો સામે કડક IPS અધિકારીએ આપ્યો સંસ્કૃતિ સાથે જોડાવાનો સંદેશ

પંચમહાલ જિલ્લા પોલીસ વડા (SP) ડૉ. હરેશ દુધાત ગુનેગારો સામેની કડક કાર્યવાહી માટે જાણીતા છે. તાજેતરમાં, તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગાય દોહતો એક વીડિયો શેર કર્યો છે, જે વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ એક સામાન્ય પશુપાલકની જેમ અત્યંત સાદગીથી ગાયનું દૂધ દોહતા જોવા મળે છે. આ પોસ્ટ એટલા માટે સૂચક છે કારણ કે, થોડા સમય પહેલાં જ એસ.પી. ડૉ. દુધાતે પંચમહાલ જિલ્લામાં ગૌ-તસ્કરી અને ગૌવંશની કતલ જેવી પ્રવૃત્તિઓ ડામવા માટે એક સ્પેશિયલ સ્ક્વોડની રચના કરી છે. એક તરફ કાયદાનો અમલ કરીને ગૌવંશને બચાવવા સક્રિય આ અધિકારીએ બીજી તરફ જાતે ગૌસેવા કરતો વીડિયો મૂકીને પોતાની કથની અને કરણીમાં એકસૂત્રતા દર્શાવી છે. વીડિયો શેર કરતા તેમણે કેપ્શનમાં 'ગૌ સેવા, ગૌ કૃપા, અને દૂધ દોહવાની દિવ્ય અનુભૂતિ' લખ્યું છે. પોલીસ યુનિફોર્મથી દૂર, ઘરગથ્થુ કપડામાં જિલ્લાના વડાને આ રીતે ગૌસેવા કરતા જોઈને લોકોમાં કુતૂહલ અને આદર વધ્યો છે. આ વીડિયો દ્વારા તેમણે સંદેશ આપ્યો છે કે હોદ્દો ગમે તેટલો મોટો હોય, વ્યક્તિએ પોતાની સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવું જોઈએ. આ બાબતે ડૉ. હરેશ દુધાતે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા માનવામાં આવે છે. ગોધરામાં ગૌવંશની ગેરકાયદે કતલ અટકાવવા માટે ખાસ સ્ક્વોડ કાર્યરત છે. તેમણે ગાય દોહવાના પોતાના અનુભવને વર્ણવતા કહ્યું કે, ગાયના આંચળને સ્પર્શ કરતા જ તેમને એક વિશેષ આનંદની અનુભૂતિ થઈ હતી. તેમણે લોકોને ગૌ-તસ્કરી કરતા તત્વોની બાતમી આપવા અપીલ કરી હતી. સાથે જ પશુપાલકોને પણ વિનંતી કરી હતી કે જો તેઓ ગાયને માતા માને છે, તો તેને રસ્તા પર રખડતી ન છોડે જેથી તે પ્લાસ્ટિક ખાવાથી અને બીમારીઓથી બચી શકે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:52 pm

સગીરા સાથે દુષ્કર્મ આચરનાર માસાને આજીવન કેદની સજા:લગ્નની લાલચ આપીને અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું, કલોલ કોર્ટે 50 હજારનો દંડ ફટકાર્યો

સગીર વયની ભત્રીજીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરનાર સગા માસાને કલોલની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી સમાજમાં દાખલો બેસાડ્યો છે. આરોપીએ સંબંધની મર્યાદા તોડીને વિશ્વાસઘાત કર્યો હોવાથી કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ કડક હુકમ કર્યો છે. આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપીને અપહરણ કર્યું હતુંઆ કેસના આરોપી માસાએ ભોગ બનનાર 16 વર્ષ 11 માસની ઉંમરની સગીરા સગા માસા થતો હતો. આરોપીએ 29 ડિસેમ્બર 2020ના રોજ છત્રાલ ગામમાંથી સગીરાને લગ્નની લાલચ આપીને અપહરણ કર્યું હતું અને 10 દિવસથી વધુ સમય સુધી ગોંધી રાખી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટમાં 27 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયાઆ મામલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જે કેસ કલોલ કોર્ટમાં પાંચમા એડિશનલ સેશન્સ જજ બી.આર. રાજપૂતની કોર્ટમાં ચાલ્યો હતો.સરકારી વકીલ આર.એલ. પટેલ અને જીગ્નેશ એચ. જોશીએ આ કેસમાં દલીલો કરી હતી. કોર્ટમાં 27 દસ્તાવેજી પુરાવા અને 11 સાહેદોની જુબાની રજૂ કરવામાં આવી હતી. ગાર્ડિયનની ભૂમિકાનું ઉલ્લંઘન કરીને જઘન્ય ગુનો આચર્યોઆ કેસમાં સરકારી વકીલ જીગ્નેશ જોશીએ કોર્ટને દલીલ કરી હતી કે, આરોપી ભોગ બનનારના માસા થતા હોવા છતાં તેણે ગાર્ડિયનની ભૂમિકાનું ઉલ્લંઘન કરીને આ જઘન્ય ગુનો આચર્યો છે. સમાજમાં આવા ગુના અટકાવવા અને દાખલો બેસાડવા માટે આરોપીને સખતમાં સખત સજા કરવી જરૂરી છે. માસાને આજીવન કેદ અને 50 હજારનો દંડ કોર્ટે તમામ પુરાવા અને દલીલોને માન્ય રાખી આરોપી માસાને તકસીરવાન ઠેરવી આજીવન (છેલ્લા શ્વાસ સુધી) કેદની સજા અને 50 હજારનો દંડ ભોગવવાનો આદેશ આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:42 pm

અગ્નિવિર તાલીમ પૂર્ણ કરી યુવાન પરત ફર્યો:પેઢમાલા ગામમાં ભવ્ય સ્વાગત કરાયું

હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામમાં અગ્નિવિરની તાલીમ પૂર્ણ કરીને પરત ફરેલા યુવાન ચેતનસિંહ ચૌહાણનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગામલોકોએ શોભાયાત્રા કાઢીને તેમનું અભિવાદન કર્યું હતું. ચેતનસિંહ ચૌહાણે સાત મહિનાની અગ્નિવિર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તેમના પરત ફરવાથી હિંમતનગર પંથક, પેઢમાલા ગામ અને ચૌહાણ પરિવારનું ગૌરવ વધ્યું છે. પુત્રને આર્મી જવાનના રૂપમાં જોઈને પિતા ભાવુક થયા હતા અને તેમની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ઉઠ્યા હતા. ગ્રામજનો પણ પોતાના ગામનો યુવાન દેશની રક્ષા કરશે તે જાણીને અત્યંત ખુશ હતા અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:35 pm

પરિવાર લગ્નમાં ગયો ને તસ્કરો ઘરમાં ત્રાટક્યા:સોમનાથ રોડ પરની ક્રિષ્નવીલા સોસાયટીમાં આવેલા મકાનમાં ચોરી,1 લાખથી વધુના મત્તાની ચોર ચોરી કરી ફરાર

મહેસાણા શહેર તેમજ તાલુકામાં તસ્કરો બેફામ બન્યા છે.ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટના નોંધાયા બાદ હવે શહેરી વિસ્તારોમાં ચોરીની ઘટના સામે આવી છે. મહેસાણા શહેરના સોમનાથ રોડ પર આવેલ સોસાયટીમાં રહેતો પરિવાર અમદાવાદ લગ્નમાં ગયો એ દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડા તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ 1 લાખથી વધુના મત્તાની ચોરીની ઘટનાને તસ્કરોએ અંજામ આપ્યો છે. પરિવાર લગ્નમાં ગયો ને તસ્કરો ઘરમાં ત્રાટક્યામહેસાણા શહેરમાં સોમનાથ રોડ પર આવેલા કૃષ્ણ વિલા સોસાયટીમાં આવેલા મકાન નંબર 36 માં રહેતા પરમાર દિલીપ કુમારે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે 29 નવેમ્બર 2025ના રોજ તેઓ અમદાવાદ ખાતે લગ્નમાં પોતાના પરિવાર સાથે ગયા હતા.એ દરમિયાન તસ્કરોએ એમના ઘરને નિશાન બનાવી તાળા તોડી ઘરમાં ઘુસ્યા હતા. તસ્કરો 1 લાખના મત્તાની ચોરી કરી રફુચક્કર આ દરમિયાન તસ્કરોએ ઘરનો સામાન અસ્તવ્યસ્ત કરી મુક્યો હતો.ફરિયાદીના પાડોશીએ ફરિયાદીને ચોરી અંગે જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા અને ઘરમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તસ્કરો ઘરમાં ડબ્બામાં મુકેલા 95 હજાર રોકડા,સોનાની ચુની કિંમત 2000,ચાંદીની વીંટી 500 રૂ. ચાંદીની પાયલ કિંમત 3000, ચાંદીનું પેન્ડલ કિંમત 1500, ચાંદીની કંઠી રૂ 3000, રસોડામાં રાખેલ કરીયાનું કિંમત 2000 મળી તસ્કરો કુલ 1 લાખ 7 હજાર 700 રૂપિયાના મત્તાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા.સમગ્ર ચોરીની ઘટના અંગે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:33 pm

હિંમતનગરના હુંજ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો:જરૂરિયાતમંદ દર્દીઓ માટે 15 યુનિટ રક્ત એકત્રિત કરાયું

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના હુંજ ખાતે GMERS મેડિકલ કોલેજ અને જાયન્ટ્સ હિંમતનગર સહિયરના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો મુખ્ય હેતુ જિલ્લાની જોખમી સગર્ભા માતાઓ, ગંભીર બીમારી ધરાવતા બાળકો, ટીબી, થેલેસેમિયા, સિકલ સેલ અને અન્ય ગંભીર બીમારીઓથી પીડિત જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક લોહી ઉપલબ્ધ કરાવવાનો હતો. આ કેમ્પમાં કુલ ૧૫ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ, બામણા ગામના મેડિકલ ઓફિસર, સ્થાનિક કર્મચારીઓ અને ગ્રામજનો સહિત અનેક લોકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:33 pm

6થી 10 ડિસેમ્બર દરમિયાન યોગા એક્સપ્રેસ મેરઠ સિટી સુધી જશે:યોગનગરી ઋષિકેશ સુધી સેવા આંશિક રદ, 8 અને 9 ડિસેમ્બરે હિંમતનગર અને ઈડર વચ્ચેની મહેતાપુરા ફાટક બંધ રહેશે

રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે. ત્યાર ઉત્તર રેલ્વેના દેહરાદુન સ્ટેશન પર ચાલતા લોકો પિટ સાઇડિંગનાં કામને કારણે યોગનગરી ઋષિકેશ જતી કેટલીક ટ્રેનોની સફરમાં તાત્કાલિક ફેરફાર કરવામાં આવ્યા છે. આ કામને કારણે સાબરમતી–યોગનગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસની સેવા બે શહેરો વચ્ચે થોડાં દિવસો માટે ટ્રેનોમાં થોડી અસર થશે. ટ્રેન નંબર 19031 (સાબરમતી–યોગનગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ)6 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર 2025 સુધી આ ટ્રેન યોગનગરી ઋષિકેશ સુધી નહીં જાય. ટ્રેન માત્ર મેરઠ સિટી સુધી જ દોડશે.એટલે કે મેરઠ સિટીથી યોગનગરી ઋષિકેશ વચ્ચે સેવા રહેશે નહીં. ટ્રેન નંબર 19032 (યોગનગરી ઋષિકેશ–સાબરમતી યોગા એક્સપ્રેસ)7 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર 2025 સુધી આ ટ્રેનનું પ્રસ્થાન યોગનગરી ઋષિકેશ પરથી નહીં થાય. તેના બદલે ટ્રેન મેરઠ સિટીથી શરૂ થશે. એટલે કે યોગનગરી ઋષિકેશ–મેરઠ સિટી વચ્ચે મુસાફરી શક્ય નહીં હોય. 8 અને 9 ડિસેમ્બરે રેલવે ક્રોસિંગ નં. 86A મહેતાપુરા ફાટક બંધ રહેશે પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના હિંમતનગર–ખેડબ્રહ્મા સેકશનમાં હિંમતનગર અને ઈડર વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નં. 86A મહેતાપુરા ફાટક કિ.મી. 6/1-2, સમારકામ માટે 8 ડિસેમ્બરના રોજ સવારે 9 વાગ્યાથી 9 ડિસેમ્બરના રોજ સાંજે 9 વાગ્યા સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન અહીં થી જતા મુસાફરોએ હિંમતનગર–ઈડર બાયપાસ અને મહેતાપુરા RTO રોડનો ઉપયોગ કરી શકશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:28 pm

સસ્તા અનાજ દુકાનનો પરવાનો રદ કરવા માંગ:બાંગાપુરા ગ્રામજનોનો વિરોધ, રદ થયેલી દુકાનને ફરી મંજૂરી મળતા અધિક કલેક્ટરને આવેદનપત્ર

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બાંગાપુરા ગામમાં સસ્તા અનાજની દુકાનના પરવાનાને લઈને વિવાદ સર્જાયો છે. ગ્રામજનોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરી છે કે કાળા બજારના આરોપસર જે દુકાનનો પરવાનો રદ કરાયો હતો, તેને ફરીથી મંજૂરી ન આપવી જોઈએ અને કાયમી ધોરણે બંધ કરવી જોઈએ. આ ઘટનાનો મૂળ 2 જુલાઈ, 2025 (આપેલ તારીખ મુજબ) ના રોજ થયેલી 'જનતા રેડ' માં છે. તે સમયે, સસ્તા અનાજ દુકાનના સંચાલક હસમુખભાઈ છોટાભાઈ બારિયા રાત્રિના સમયે ટ્રેક્ટરમાં અનાજનો જથ્થો ભરીને સગેવગે કરતા પકડાયા હતા. ગ્રામજનોએ આ માલ પકડી પાડ્યો હતો. આ ઘટના બાદ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે, જિલ્લા પુરવઠા અધિકારીએ દુકાનમાં અનાજના જથ્થામાં વધઘટ જણાતા સસ્તા અનાજની દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કર્યો હતો અને દુકાનને સીલ મારી દેવામાં આવી હતી. ગ્રામજનોએ તે સમયે આવેદનપત્ર આપીને નવી સસ્તા અનાજની દુકાનનો પરવાનો આપવાની માંગ કરી હતી. જોકે, તંત્ર દ્વારા ફરીથી એ જ સંચાલક હસમુખભાઈ છોટાભાઈ બારિયાને અનાજની દુકાનનો પરવાનો આપવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ રોષને પગલે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર સુપરત કર્યું હતું. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જે દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો હોય, તે જ દુકાનદારને ફરીથી સસ્તા અનાજની દુકાન શરૂ કરવા માટે લાયસન્સ શા માટે આપવામાં આવ્યું? હાલ ગ્રામજનો આ સસ્તા અનાજની દુકાનનો સખત વિરોધ કરી રહ્યા છે. આ મામલે તંત્ર દ્વારા હવે કેવા પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:26 pm

6-7 ડિસેમ્બરે ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવ યોજાશે:UPના રાજ્યપાલ આનંદીબેન પટેલ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે, 10 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓને આમંત્રણ

મહાત્મા ગાંધી દ્વારા 1920માં સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક સંઘનો શતાબ્દી મહોત્સવ યોજવાનો છે. આવતીકાલે એટલે કે 6 અને 7 તારીખે સ્નાતક સંઘનો શતાબ્દી મહોત્સવ યોજાશે. જેમાં 7 વિધાશાખાના 18 વિભાગોના 10 હજારથી વધુ વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આનંદીબેન પટેલ આવતીકાલે ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેશેગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ સ્નાતક અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આવતીકાલે ઉદ્ઘાટન સમારોહમાં અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ 7 તારીખે હાજરી આપશે. સ્નાતક સંઘને 100 વર્ષ 6 ડિસેમ્બરે પૂર્ણ 1925માં સ્થાપના થયેલ સ્નાતક સંઘને 100 વર્ષ 6 ડિસેમ્બરે પૂર્ણ થાય છે. તે ઉપલક્ષ્યમાં ગત વર્ષ 6 ડિસેમ્બર 2024થી અત્યાર સુધી 15 સ્નાતક સંમેલન યોજવામાં આવ્યા છે. જેથી આ વર્ષે સ્નાતક સંઘના 100 વર્ષની ઉજવણીમાં અત્યાર સુધીમાં અભ્યાસ પૂર્ણ કરીને ગયેલા તમામ વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. 200થી વધુ સ્નાતકોનું સન્માન, 10 હજાર વિદ્યાર્થીઓને આમંત્રણ 10 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓને સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. 2 દિવસ દરમિયાન 8 સત્રોમાં વિવિધ પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે. તેમજ 200થી વધુ સ્નાતકોનું સન્માન પણ કરવામાં આવશે. 7 ડિસેમ્બરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજરી આપશેકેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, ગુજરાત સરકારના કૃષિ મંત્રી જીતુ વાઘાણી આવતીકાલે અલગ અલગ સત્રમાં ઉપસ્થિત રહેશે અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવશે. તેમજ 7 તારીખે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજરી આપશે અને વિદ્યાર્થી સાથે સંવાદ કરશે. નાટક સંઘ શતાબ્દી મહોત્સવ દરમિયાન પૂર્વ વિદ્યાર્થીઓના સંસ્મરણોને યાદ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:25 pm

'પરીક્ષા પે ચર્ચા' 2026 માટે નોંધણી શરૂ:ધો. 6થી 12ના વિદ્યાર્થીઓ માટે 11 જાન્યુઆરી સુધી ઓનલાઇન સ્પર્ધાનું આયોજન, પોતાના પ્રશ્નો નરેન્દ્ર મોદીને સીધા સંબોધવાની તક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદ્યાર્થીઓ સાથેના લોકપ્રિય ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા’ની 9મી આવૃત્તિ જાન્યુઆરી-2026માં યોજાશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે 1 ડિસેમ્બર 2025થી 11 જાન્યુઆરી 2026 સુધી https://innovateindia1.mygov.in ઉપર ઓનલાઈન MCQ આધારિત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને પોતાના પ્રશ્નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધા સંબોધવાની તકસ્પર્ધામાં ભાગ લેતા દરેક વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને NCERTનું પ્રમાણપત્ર અપાશે. સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓને પોતાના પ્રશ્નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધા સંબોધવાની તક મળશે. NCERT દ્વારા પસંદ કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રશ્નો ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવશે. સ્કૂલોને #PPC2026 હેશટેગનો ઉપયોગ કરવા સૂચનાકાર્યક્રમના પ્રચાર માટે તમામ સ્કૂલોને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી #PPC2026 હેશટેગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને સ્કૂલો પોસ્ટર, ક્રિએટિવ વીડિયો વગેરે બનાવીને પણ અપલોડ કરી શકે છે. પસંદ થયેલા પોસ્ટર-વીડિયોઝ MyGov પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરવામાં આવશે. સ્કૂલોને વધુમાં વધુ વિદ્યાર્થીઓને જોડવાની સૂચના આપવામાં આવીરાજ્યની તમામ સરકારી તથા ખાનગી સ્કૂલોને વધુમાં વધુ વિદ્યાર્થીઓને જોડવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તથા અન્ય બોર્ડ સાથે સંકળાયેલી તમામ સ્કૂલોને જરૂરી કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગ દ્વારા સૂચના જાહેર કરવામાં આવી છે, જેથી રાજ્યમાંથી મહત્તમ વિદ્યાર્થીઓ સહભાગી બની શકે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:21 pm

રાજ્યની માથાદીઠ આવક પહેલી વાર 3 લાખને પાર:2023-24ના વર્ષનું GSDP 24.62 લાખ કરોડ, ભારતના ટોચના પાંચ મોટા અર્થતંત્રોમાં સ્થાન જાળવી રાખ્યું

ગુજરાતે આર્થિક ક્ષેત્રે મહત્વપૂર્ણ મંજિલ સર કરી છે. તાજેતરના આર્થિક આંકડા મુજબ રાજ્યની માથાદીઠ આવક પહેલી વાર 3 લાખને પાર પહોંચી છે. નવા આંકડા પ્રમાણે રાજ્યની પ્રતિ વ્યક્તિ આવક 3,00,957 થઈ છે, જે ભારતના મુખ્ય મોટા રાજ્યોમાં ગુજરાતને મોખરે છે. ભારતના ટોચના પાંચ મોટા અર્થતંત્રોમાં સ્થાન જાળવી રાખ્યુંઆ સાથે જ 2023-24ના વર્ષ માટે ગુજરાતનું કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન (GSDP) ₹24.62 લાખ કરોડ સુધી પહોંચ્યું છે. 2011-12માં આ આંકડો ₹6.16 લાખ કરોડ હતો, એટલે કે દાયકામાં લગભગ ચાર ગણો વધારો થયો છે. આ વૃદ્ધિ દરથી ગુજરાત ભારતના ટોચના પાંચ મોટા અર્થતંત્રોમાં સ્થાન જાળવી રાખ્યું છે. 11 વર્ષમાં ગુજરાતનો સરેરાશ વૃદ્ધિ દર 8.42% આર્થિક આંકડા બતાવે છે કે છેલ્લા 11 વર્ષમાં ગુજરાતનો સરેરાશ વૃદ્ધિ દર 8.42% રહ્યો છે, જે 10 લાખ કરોડથી વધુ અર્થતંત્ર ધરાવતા રાજ્યોમાં સર્વોચ્ચ ગણાય છે. આ જ અવધિમાં કર્ણાટકનો વૃદ્ધિ દર 7.69% અને તમિલનાડુનો 6.29% રહ્યો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું યોગદાન ₹7.43 લાખ કરોડઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતની અર્થવ્યવસ્થામાં સૌથી મોટો ફાળો આપ્યો છે. 2023-24માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું યોગદાન ₹7.43 લાખ કરોડ નોંધાયું છે. કન્સ્ટ્રક્શન અને યુટિલિટી સેક્ટરનું યોગદાન ₹2.31 લાખ કરોડ છે, જ્યારે ટ્રેડ, પરિવહન, નાણાકીય સેવાઓ અને રિયલ એસ્ટેટ સહિતના સર્વિસ સેક્ટરનો ફાળો ₹7.81 લાખ કરોડ રહ્યો છે. કૃષિ, વન અને માછીમારી દ્વારા મળીને ₹3.69 લાખ કરોડનું ઉત્પાદન નોંધાયું છે. આર્થિક નિષ્ણાતોના મતે નીતિ સ્થિરતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ આધાર અને રોકાણવાળા વાતાવરણને કારણે ગુજરાત આ વૃદ્ધિ હાંસલ કરી શક્યું છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:09 pm

રાજ્ય પોલીસ વડાની વડોદરા મુલાકાત:વિકાસ સહાયે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વડોદરા રેન્જના 3 PI અને 6 PSIનું સન્માન કર્યું, વાર્ષિક ઇન્સ્પેક્શનને લઈને વડોદરા કચેરીની પણ મુલાકાત કરી

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે વડોદરા રેન્જ આઈજી કચેરીની વાર્ષિક ઇન્સ્પેક્શનને લઈ મુલાકાત લીધી હતી. ત્યારબાદ પોલીસ વડા સાથે બેઠક યોજી હતી અને તેમની વાર્ષિક કામગીરીની સમીક્ષા પણ કરી હતી. આ ઉપરાંત ડીજીપી દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ સઘન કરવા માટે અધિકારીઓને સૂચનો પણ કરવામાં આવ્યા હતા. વડોદરા રેન્જમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર 3 પીઆઈ અને 6 પીએસઆઇને ડીજીપીએ પ્રશસ્તિપત્ર પત્ર આપી સન્માનિત સન્માનિત કર્યા છે. ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે વાર્ષિક ઇન્સ્પેક્શનને લઇ વડોદરા રેન્જ આઈજીની કચેરીની મુલાકાત કરી હતી. ત્યારબાદ રેન્જ વિસ્તાર હેઠળ આવતા ચાર જિલ્લામાં વર્ષ દરમિયાન પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરી અને વર્ષમાં નોંધાયેલા ગુના તેમજ ડિટેક્ટ થયેલા ગુના સહિતની માહિતી એકત્ર કરવા સાથે મંગાવી પણ હતી. તેમાં પણ સૌપ્રથમ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનાઓ તેમજ ડભોઈ તાલુકામાં બનેલા ડિજિટલ અરેસ્ટના ગુનાની વિગતો પહેલા મંગાવી હતી. જૂની કલેક્ટર કચેરીના ધારાસભા હોલમાં યોજાયેલી સમીક્ષા બેઠક દરમીયાન ડ્રોન સર્વેલન્સનો વધુ ઉપયોગ કરવા સાથે રાજ્ય પોલીસ વડા દ્વારા રાત્રિના સમયે સંવેદનશીલ વિસ્તારોમાં એરિયલ પેટ્રોલિંગ કરવા સાથે કોર પોલિસિંગ કરવા સૂચન કરાયું હતું. રાજ્ય પોલીસ વડાએ વડોદરા રેન્જ કચેરી સાથે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પીઆઈ અને પીએસઆઈનું સન્માન કરી પ્રોત્સાહિત કરાયા હતા અને ડીજીપીએ રેન્જ વિસ્તારના ચાર જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી બદલ 3 પીઆઈ અને 6 પીએસઆઈને પ્રશસ્તિપત્ર અને ઇનામ એનાયત કર્યા હતા. આ પ્રસંગે આઈ.જી.શેખ સહિત આઈ જી સંદીપ સિંગ, ભરૂચના એસપી, વડોદરા ગ્રામ્ય એસપી સુશીલ અગ્રવાલ, નર્મદા જિલ્લા એસપી વિશાખા ડબરાય અને છોટાઉદેપુર જિલ્લાના એસપી પણ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા રેન્જ કચેરી PI જી.વી. ગોહીલ મહિલા PI એન. એન. દેસાઈ વડોદરા ગ્રામ્ય PI વી.જી. લાંબરીયા PI એ.કે. ભરવાડ PSI પી.કે. ભુત ભરૂચ PI પી.જી.ચાવડા PSI આર.એસ.ચાવડા નર્મદા PI આર.જી. ચૌહાણ PSI સી.ડી.પટેલ છોટાઉદેપુર PI એમ.એમ.ડામોર મહિલા PSI ડી.કે.પંડયા PSI વી.એન.ચાવડા PSI એ.ડી.ચૌહાણ

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:07 pm

પંચમહાલ LCB એ વોન્ટેડ આરોપીને ઝડપ્યો:વેજલપુર પ્રોહીબિશન કેસનો આરોપી છોટાઉદેપુરમાંથી પકડાયો

પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ વેજલપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીને છોટાઉદેપુર જિલ્લામાંથી પકડવામાં આવ્યો હતો. પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલ, LCB ગોધરાએ સ્ટાફને વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા સૂચના આપી હતી. આ માટે ખાનગી બાતમીદારોની મદદ લેવામાં આવી હતી. આ સૂચના મુજબ, LCB ગોધરાના અ.હે.કો. શૈલેષકુમાર બચુભાઈને બાતમી મળી હતી. બાતમી મુજબ, વેજલપુર પ્રોહીબિશન ગુનાનો વોન્ટેડ આરોપી રાકેશભાઈ પારસીંગભાઈ રાઠવા હાલ તેના ઘરે, રાણીયા ફળીયુ, નકામલી, ચીસડીયા, તા.જી. છોટાઉદેપુર ખાતે હાજર છે. આ ચોક્કસ બાતમીના આધારે, LCB ગોધરાના પો.સ.ઈ. એસ.આર. શર્મા અને LCB સ્ટાફના માણસોએ આરોપીના ઘરે જઈ તપાસ કરી હતી. બાતમી મુજબનો આરોપી મળી આવતા તેને પકડી પાડવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી બાદ વેજલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ કરનાર ટીમમાં પો.સ.ઈ. એસ.આર. શર્મા, એ.એસ.આઈ. નાદીરઅલી નિઝામુદ્દીન, અ.હે.કો. કેહજીભાઇ સઇદુભાઇ, અ.હે.કો. સરતાણભાઇ કરમણભાઈ, અ.હે.કો. કીર્તેશકુમાર નટવરભાઈ, અ.હે.કો. શૈલેષકુમાર બચુભાઇ અને આ.પો.કો. વિજયસિંહ છત્રસિંહનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:06 pm

વલસાડમાં વીજ કરંટથી બેભાન ધામણ સાપને CPR અપાયું:રેસ્ક્યૂઅર મુકેશ વાયડને વન મંત્રી મોઢવાડિયાએ બિરદાવ્યા

વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના આમધા ગામમાં વીજ કરંટ લાગવાથી મૃત્યુના આરે પહોંચેલા એક ધામણ સાપને રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયડે CPR આપી નવજીવન બક્ષ્યું હતું. આ માનવતાભર્યા કાર્ય બદલ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ તેમને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા અને અભિનંદન પત્ર પણ મોકલ્યો હતો. આ ઘટના આમધા ગામના નિશાળ ફળિયામાં આવેલા એક ખેતરમાં બની હતી. ખેડૂતો અને મજૂરો ભાત કાપણીનું કામ કરી રહ્યા હતા ત્યારે ખેતર પાસેથી પસાર થતી વીજ કંપનીની થ્રી-ફેઝ પાવર લાઈન પર એક ધામણ સાપ ચડી ગયો હતો. થાંભલાની ટોચ પર પહોંચતા જ તેને કરંટ લાગ્યો અને તે લગભગ 15 ફૂટ ઊંચાઈથી નીચે પટકાયો. ઘટનાની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ (નવસારી-ધરમપુર-નાનાપોંઢા)ના ટીમ મેમ્બર મુકેશભાઈ વાયડને થતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા. તેમણે જોયું કે સાપની હાલત ગંભીર હતી અને તેના શ્વાસ રુંધાઈ રહ્યા હતા. મુકેશભાઈએ સમય ગુમાવ્યા વિના પોતાની પદ્ધતિ અપનાવી સાપનું મોઢું ખોલીને પોતાના મોઢા દ્વારા હવા ભરીને 'CPR' આપવાનું શરૂ કર્યું. લગભગ 25 થી 30 મિનિટ સુધી સતત સારવાર અને પ્રયત્નો બાદ સાપના શ્વાસ ફરી શરૂ થયા. સાપ સંપૂર્ણ સ્વસ્થ જણાતા મુકેશભાઈ વાયડ અને તેમના સહયોગી મિત્રો દ્વારા તેને નજીકના સુરક્ષિત ખેતરમાં કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો. આ દ્રશ્ય જોઈ હાજર ખેડૂતો અને ગ્રામજનોએ રેસ્ક્યુઅરની કામગીરીને બિરદાવી હતી. આ અંગેની જાણ થતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મુકેશભાઈ વાયડને ફોન દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એક અભિનંદન પત્ર પણ મોકલ્યો હતો, જેમાં મુકેશભાઈની કામગીરીને બિરદાવવામાં આવી હતી. મંત્રી મોઢવાડિયાએ પત્રમાં જણાવ્યું હતું કે, મુકેશભાઈ દ્વારા અત્યાર સુધીમાં 8 હજારથી વધુ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ ગુજરાત સરકાર વન્ય જીવોની સુરક્ષા માટે કામ કરી રહી છે, ત્યારે મુકેશભાઈનું આ નોંધપાત્ર યોગદાન ગુજરાત હંમેશા યાદ રાખશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:03 pm

ઉદવાડામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું:નાણાં મંત્રી કનુ દેસાઈએ STEM શિક્ષણ પર ભાર મૂક્યો

રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા વિજ્ઞાન મંડળ તથા ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ઉદવાડા, પારડી ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26 યોજાયું હતું. આ પ્રસંગે મંત્રીના હસ્તે પારડી તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળા અને ઉદવાડા પ્રાથમિક શાળાના નવા મકાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રી કનુભાઈ દેસાઈએ પોતાના સંબોધનમાં 'વિકસિત ભારત' નિર્માણમાં STEM (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ) શિક્ષણની અગત્યની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે વિજ્ઞાન ક્ષેત્રે પારસી સમાજના ઐતિહાસિક ફાળાની પણ પ્રશંસા કરી હતી, જે સ્થાનિક સમુદાયના યોગદાનને ઉજાગર કરે છે. કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક ક્ષેત્રે સફળતા માટે પ્રેરણા આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી એ. ટંડેલે સ્વાગત પ્રવચન આપતા જણાવ્યું કે, પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ, સર્જનાત્મકતા, પ્રયોગશીલતા, નવોચાર અને STEM ક્ષેત્ર પ્રત્યે રુચિ વિકસાવવાનો છે. જિલ્લાની વિવિધ શાળાઓના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ, નવીકરણીય ઊર્જા, આધુનિક ટેકનોલોજી, આરોગ્ય, રોબોટિક્સ, કૃત્રિમ બુદ્ધિ અને સામાજિક વિજ્ઞાન આધારિત નવતર મોડેલો, પ્રયોગો અને વૈજ્ઞાનિક રચનાઓ રજૂ કરી હતી. આ પ્રદર્શનો દ્વારા નવી પેઢીમાં વિજ્ઞાન પ્રત્યે ચિંતન, જિજ્ઞાસા અને અનુસંધાનની ભાવના વિકસાવવામાં મદદ મળી હતી. આ કાર્યક્રમમાં શિક્ષકો, અધિકારીઓ, વાલીઓ તથા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેને કારણે કાર્યક્રમને વિશેષ પ્રતિસાદ મળ્યો હતો. આ સમગ્ર આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા વિજ્ઞાન મંડળ તેમજ હોસ્ટ સ્કૂલના સંકલિત પ્રયાસોથી સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. આ પ્રસંગે ઉદવાડા ગામના સરપંચ, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો અને અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:02 pm

દીલ બાગબાગ કરતું ગાર્ડન, રોજ યોગનું મન થાય તેવો હોલ:આઉટડોર અને ઇન્ડોર ગેમ્સ એક જ છત નીચે મળે તેવું સ્પોર્ટ્સ સંકુલ, રેલવે ઓવરબ્રિજથી સમય બચાવશે, શાહે લોકાર્પણ કર્યું

ગાંધીનગરને વધુ 'લવેબલ' અને 'લીવેબલ' બનાવવાની દિશામાં આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે રૂ. 68 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. બગીચાઓના આધુનિકરણથી લઈ ફોર-લેન બ્રિજ ગાંધીનગર વાસીઓની સુવિધામાં વધારો કરશે. સ્પોર્ટસ સંકુલ અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપતો આધુનિક યોગ હોલ બાળકોથી લઈ સિનિયર સિટીઝનને ખેલખૂદથી લઈ જીવનશૈલી સુધારવામાં મદદરૂપ થશે. ત્યારે આવો 68 કરોડના ખર્ચે ગાંધીનગરને મળેલી વિકાસભેટ કેવી છે તેના પર નજર કરીએ... નાગરિકોની માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વધારોએક સમયે માત્ર કર્મચારીઓના નગર તરીકે ઓળખાતું ગાંધીનગર હવે જીવંત શહેર બની ગયું છે. વધતી વસ્તી સાથે શહેરનો વિકાસ પણ થયો છે અને નાગરિકોની માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ગાંધીનગર મહાપાલિકા દ્વારા સેક્ટર-22માં બે મહત્વના પ્રકલ્પોનું લોકાર્પણ થયું. ગુરુકુળ સ્કૂલની સામે આવેલા બગીચાનો 75 હજાર લોકોને મળશે લાભ7196 ચોરસ મીટર વિસ્તારમાં 2.48 કરોડના ખર્ચે બગીચાનું આધુનિકરણ કરાયું છે. જેની વિશેષતાની વાત કરીએ તો 5100 ચો.મી. ગ્રીન એરિયા, 422 મીટર વોક-વે, કસરતના સાધનો, બાળકોના રમકડાં અને શૌચાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલની સામે આવેલા આ બગીચાનો લાભ આશરે 75 હજાર લોકોને મળી શકશે. 50 વ્યક્તિની ક્ષમતાવાળા આધુનિક યોગ હોલનું નિર્માણસ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે 1.31 કરોડના ખર્ચે 50 વ્યક્તિની ક્ષમતાવાળા આધુનિક યોગ હોલનું નિર્માણ કરાયું છે. અહીં લોકર, ચેન્જિંગ રૂમ, શૌચાલય સહિતની સુવિધાઓ ધરાવતા આ સ્ટુડિયોથી સિનિયર સિટીઝન સહિત આશરે એક હજાર નાગરિકોને ઘર નજીક જ ધ્યાન અને પ્રાણાયામની સુવિધા મળશે. દબાણ કે પાર્કિંગ માટે ઉપયોગમાં લેવાતી જગ્યામાં સ્પોર્ટ્સ સંકુલગાંધીનગર મહાપાલિકાએ રોડ નં-6 પર નિર્માણ પામેલા ઓવરબ્રિજ નીચેની ખાલી જગ્યાનો સુઆયોજિત ઉપયોગ કરીને એક અનોખો સ્પોર્ટ્સ ઝોન વિકસાવ્યો છે. સામાન્ય રીતે દબાણ કે પાર્કિંગ માટે ઉપયોગમાં લેવાતી આ જગ્યામાં 2.07 કરોડના ખર્ચે રમતગમત સંકુલ તૈયાર કરાયું છે. અહીં પિકલબોલ, બાસ્કેટબોલ, વોલીબોલ જેવી આઉટડોર રમતો સાથે ટેબલ ટેનિસ, ચેસ અને કેરમ જેવી ઇન્ડોર રમતો પણ રમી શકાશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો લાભ આશરે 500 નાગરિકોને મળશે. જર્જરિત બગીચાનું 3.26 કરોડના ખર્ચે નવીનીકરણએજ રીતે સેક્ટર-27ના જર્જરિત બગીચાનું 3.26 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું છે આ ઉદ્યાનમાં 9300 ચો.મી. ગ્રીન એરિયા, 618 મીટર વોક-વે, 140 મીટર એક્યુપ્રેશર પાથ, એમ્ફીથિયેટર, સ્ટેજ, યોગ પ્લેટફોર્મ, સીસીટીવી અને રમતગમતના સાધનોનો સમાવેશ થાય છે. આ બગીચાના નવીનીકરણથી આશરે 70 હજાર નાગરિકોને લાભ થશે. આ વિકાસ કાર્યો ગાંધીનગરના નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવવા સાથે શહેરના સર્વાંગી વિકાસને વેગ આપશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 6:51 pm

20 વર્ષે અમિત શાહ ગુરુને મળ્યા, શિક્ષકની આંખમાં ખુશીના આંસુ:અડધો કલાક બન્નેએ વાતો કરી, વહેલી સવારે પરેડ કરાવતા એ દિવસો યાદ કરી ભાવુક થયા

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે 5 નવેમ્બરે ગાંધીનગરની મુલાકાતે હતા અને તેમણે શહેરને 68 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરીને ભેટ આપી હતી. જોકે, તેમના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે આજે તેઓ તેના ભૂતપૂર્વ શિક્ષક જીવણભાઈ પટેલ (જેઓ માણસામાં જે ડી પટેલ તરીકે ઓળખાય છે)ને મળવા માટે અચાનક તેમના ઘરે પહોંચ્યા હતાં. પરિવાર સાથે અડધો કલાકથી વધુ સમય વિતાવ્યો હતોઅમિત શાહે ગાયત્રી નગર સ્થિત પોતાના પૂર્વ શિક્ષક 89 વર્ષના જીવણભાઈ ડાહ્યાભાઈ પટેલના નિવાસસ્થાને જઈને પગે લાગીને આશીર્વાદ લીધા હતાં. શિક્ષકના ઘરે પ્રવેશતા પહેલા કેન્દ્રીય ગૃહમંત્રીએ તેમના પગરખા પણ ઘરની બહાર ઉતાર્યા હતાં અને શિષ્ટાચાર જાળવ્યો હતો. અમિત શાહે જીવણભાઈ સહિતના પરિવાર સાથે અડધો કલાકથી વધુ સમય વિતાવ્યો હતો અને ભૂતકાળના સંસ્મરણો તાજા કર્યા હતાં. 20 વર્ષે કેન્દ્રીય ગૃહ મંત્રીનું ગુરુ સાથે મિલનજીવણભાઈએ દિવ્યભાસ્કર ડિજિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ મુલાકાત 20 એક વર્ષ પછી થઈ છે. તેમણે કહ્યું કે, અમિતભાઈએ તેમને બાળપણના દિવસો યાદ કરાવ્યા અને ખાસ કરીને માણસામાં થયેલા વિકાસ અને મલાવ તળાવ એક વાર જોવા માટે આગ્રહ કર્યો હતો. 'અમિત શાહનું ભણતર સારું હતું અને તેઓ હોશિયાર વિદ્યાર્થી હતા'અમિત શાહના શિક્ષક જીવણભાઈએ ઉમેર્યું કે તેમણે અમિત શાહને પહેલા ધોરણથી સાતમા ધોરણ સુધી ભણાવ્યા હતા. તેમણે ભૂતકાળના શિક્ષકોને યાદ કરતા જણાવ્યું કે પહેલાના શિક્ષકો પૈસાનો મોહ રાખ્યા વિના બાળકોને શિક્ષણ આપતા અને છોકરાઓ હોશિયાર કેવી રીતે થાય એના પ્રયત્નો કરતા હતા. શિષ્યને જોઈને ગુરુની આંખમાં હર્ષના આંસુઅમિત શાહની ઓચિંતી મુલાકાતથી જીવણભાઈની આંખમાં હર્ષના આંસુ અને સ્થાનિકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. અમિત શાહે જતી વખતે સ્થાનિકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું . પરેડ કરાવતા તે સંસ્મરણો પણ યાદ કર્યા હતાત્યારે જીવણભાઈના પુત્ર ડોક્ટર નીલમ પટેલે જણાવ્યું કે, ઘણા વર્ષો પછી પપ્પાની મુલાકાત અમિત સર સાથે થતાં પપ્પાની આંખોમાંથી ખુશીના આંસુ આવી ગયા હતા. અમિત શાહે શિક્ષકોની સ્ટ્રીક્ટનેસ અને વહેલી સવારે એનસીસી શિક્ષક (પપ્પા) કેવી રીતે પરેડ કરાવતા હતા તે સંસ્મરણો પણ યાદ કર્યા હતા. અમિત શાહે જીવણભાઈના ઘરેથી નીકળ્યા બાદ સ્થાનિકો સાથે વાર્તાલાપ કર્યોકોઈપણ નિર્ધારિત કાર્યક્રમ વિના કેન્દ્રીય ગૃહ મંત્રીના અચાનક આગમનને કારણે ગાયત્રી નગરના સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ અને હર્ષોલ્લાસની લાગણી જોવા મળી હતી. અમિત શાહે જીવણભાઈના ઘરેથી નીકળ્યા બાદ સ્થાનિકો સાથે વાર્તાલાપ કર્યો અને અભિવાદન જીલ્યું હતું. તેમણે એક માતાને તેની બાળકીને વ્હાલ કરીને આને ભણાવજો તેમ પણ કહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 6:48 pm

કે.કે. નિરાલાએ દાભડા મસાલા કેન્દ્રની મુલાકાત લીધી:પ્રગતિશીલ ખેડૂત બહેનો સાથે પ્રાકૃતિક ખેતી અંગે સંવાદ કર્યો

કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ કે.કે. નિરાલાએ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દાભડા ગામે આવેલા મસાલા વેચાણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પ્રાકૃતિક પ્લાન્ટ નર્સરી અને બિયારણ વેચાણ કેન્દ્રની પણ મુલાકાત લઈ વિવિધ પ્રવૃત્તિઓની રૂબરૂ માહિતી મેળવી હતી. દાહોદ જિલ્લા ખેતીવાડી અધિકારી અને લાયઝન અધિકારી પ્રથિક દવેએ સંયુક્ત સચિવને જિલ્લાના ખેડૂતો, પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂતો, મહિલાઓ દ્વારા સંચાલિત મસાલા ઉદ્યોગ અને મોડેલ ફાર્મ વિશે વિગતવાર માહિતી આપી હતી. મુલાકાત દરમિયાન, સંયુક્ત સચિવ કે.કે. નિરાલાએ પ્રાકૃતિક ખેતી કરતી પ્રગતિશીલ ખેડૂત બહેનો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ ખેતીની ગુણવત્તા, જમીનની ફળદ્રુપતા અને ખેડૂતોની આવકમાં આવેલા નોંધપાત્ર બદલાવ વિશે વિગતે જાણકારી મેળવી હતી. નિરાલાએ ખેડૂત બહેનોના અનુભવો અને પ્રતિભાવો પણ સાંભળ્યા હતા, જેથી પ્રાકૃતિક ખેતીના સકારાત્મક પરિણામોને સમજી શકાય.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 6:42 pm

શામળાજી ચેકપોસ્ટ પર પોલીસે એક કરોડ રોકડા ઝડપી પાડ્યા:ડુંગરપુરના શખસની વેન્યૂ કારમાં ₹500ના દરની 21000 નોટો મળી, બોનેટમાં કપડાંની થેલીમાં છૂપાવી હતી

શામળાજી પોલીસે રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતી એક વેન્યૂ કારમાંથી ₹1 કરોડ 5 લાખ રોકડા ઝડપી પાડ્યા છે. કપડાંની થેલીમાં ₹500ના દરની કુલ 21,000 નોટો સંતાડી હતી. આ મામલે પોલીસે ડુંગરપુરના એક આરોપીની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શામળાજી પોલીસ અણસોલ ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન એક વાદળી રંગની શંકાસ્પદ કારને રોકવામાં આવી હતી. પોલીસે કારની તલાશી લેતા તેના આગળના બોનેટમાં કપડાંની થેલીમાં છુપાવેલી ₹500ના દરની કુલ 21,000 નોટો મળી આવી હતી. પોલીસે રોકડ રકમ અંગે પૂછપરછ કરતા આરોપી કોઈ સંતોષકારક પુરાવા રજૂ કરી શક્યો ન હતો. જેથી પોલીસે ₹1 કરોડ 5 લાખ રોકડા અને આરોપીની ધરપકડ કરી છે. આ રોકડ ક્યાંથી આવી અને ક્યાં લઈ જવામાં આવી રહી હતી તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 6:37 pm

વલસાડમાં 49 જર્જરિત ઈમારતો, નગરપાલિકા એક્શન મોડમાં:શ્રીજી એપાર્ટમેન્ટ સીલ કરવાની તૈયારી, રહીશોને અલ્ટીમેટમ અપાયું

વલસાડ નગરપાલિકા શહેરમાં સંભવિત દુર્ઘટનાઓ ટાળવા માટે જર્જરિત ઇમારતો સામે સક્રિય થઈ છે. નગરપાલિકા દ્વારા કરાયેલા સર્વેમાં 49 ઇમારતો ભયજનક હાલતમાં હોવાનું સામે આવ્યું છે, જેની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહીના ભાગરૂપે, શહેરના અતિ જર્જરિત 'શ્રીજી એપાર્ટમેન્ટ'ના રહીશોને ત્રણ નોટિસ ફટકારવામાં આવી હતી. તેમને 24 કલાકમાં બિલ્ડિંગ ખાલી કરવાનો આદેશ અપાયો હતો. જોકે, રહીશોની વિનંતી પર પાલિકાએ માનવતાના ધોરણે 4-5 દિવસનો વધારાનો સમય આપ્યો છે. નિર્ધારિત સમયમાં મકાન ખાલી ન કરાતા, પાલિકા તેને સીલ કરશે. સર્વેમાં સામે આવેલી અન્ય જર્જરિત ઇમારતોને પણ બે-બે નોટિસ આપવામાં આવી છે. પાલિકાના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ત્રીજી નોટિસમાં બિલ્ડિંગનું તાત્કાલિક રિપેરિંગ કરાવવા અથવા તેને સીલ કરવા અંગેની સૂચના આપવામાં આવશે. પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અતિ જર્જરિત મકાનો જ્યાં સ્લેબ તૂટી પડવાની કે જાનહાનિ થવાની ભીતિ છે, ત્યાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. લોકોના જાનમાલની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે ફાયર સેફ્ટી અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી (મકાનની મજબૂતી) બંને અલગ વિષયો છે. ખાલી કરાયેલી ઇમારતોમાં રિનોવેશન થયા બાદ અથવા તેને તોડીને નવી બનાવ્યા બાદ જ પુનઃવપરાશની મંજૂરી મળશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 6:37 pm

IAF સારંગ ટીમ 2 દિવસ અંકલેશ્વરને હવાઈ પ્રદર્શનથી મંત્રમુગ્ધ કરશે:5 હેલિકોપ્ટર વાઇન ગ્લાસ ફોર્મેશન, ડાયમંડ ફોર્મેશન સહિત અદભુત કરતબો કરશે, આવતીકાલે 6 નવેમ્બરે રિહર્સલ કરશે અને 7 નવેમ્બરે હેલિકોપ્ટર શો રજૂ કરશે

ભારતીય વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ બે દિવસ માટે અંકલેશ્વર ઉપરનું આકાશ જીવંત રહેશે, કારણ કે ભારતીય વાયુસેનાની ચુનંદા સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ એક આકર્ષક પ્રદર્શન રજૂ કરશે, જે હજારો દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે. તેમના પ્રતિષ્ઠિત સ્વદેશી રીતે નિર્મિત એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) ધ્રુવ ઉડાન ભરતા, ટીમ ચોકસાઇ-સંચાલિત, ઉચ્ચ-કુશળ એરોબેટિક દાવપેચની શ્રેણીનું પ્રદર્શન કરશે જે ભારતીય ઉડ્ડયનની શક્તિ અને IAF પાઇલટ્સની અજોડ કુશળતા બંનેને પ્રકાશિત કરે છે. અંકલેશ્વર એર સ્ટ્રીપ ખાતે આવતીકાલે 6 નવેમ્બરે રિહર્સલ કરશે અને 7 નવેમ્બરે હેલિકોપ્ટર શો રજૂ કરશે. સવારે 9.30 વાગ્યાથી રિહર્સલ અને શો શરૂ થશે. સારંગ ટીમ પાંચ હેલિકોપ્ટર સાથે પ્રદર્શન કરશે, વાઇન ગ્લાસ ફોર્મેશન, ડાયમંડ ફોર્મેશન અને અદભુત ઇન્ડિયા ફોર્મેશન જેવા તેમના ટ્રેડમાર્ક અને સિગ્નેચર દાવપેચથી ભીડને મોહિત કરશે, જ્યાં હેલિકોપ્ટર આકાશમાં હૃદયના આકારને ટ્રેસ કરશે, અંકલેશ્વરના લોકોને સમર્પિત હવાઈ સલામી આપશે. દરેક દાવપેચ ફક્ત ટેકનિકલ શ્રેષ્ઠતા જ નહીં, પરંતુ સારંગ ટીમને વ્યાખ્યાયિત કરતી કલાત્મકતા અને હિંમત પણ પ્રદર્શિત કરશે. ટીમ લીડર વિંગ કમાન્ડર અભિજીત કુમાર, સિનિયર એન્જિનિયર વિંગ કમાન્ડર પીયૂષ મુખર્જી અને ટીમ કોમેન્ટેટર અને એડમિનિસ્ટ્રેટર ફ્લાઇટ લેફ્ટનન્ટ પલ્લવી સાંગવાને વડોદરામાં મીડિયાને દક્ષિણ ગુજરાતમાં તેમના પ્રથમ પ્રદર્શન વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, અંકલેશ્વર અને નજીકના વિસ્તારોના લોકો સારંગ ટીમનું શાનદાર પ્રદર્શન જોશે, જે વિશ્વની એકમાત્ર હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ છે. 6 અને 7 ડિસેમ્બરના રોજ આ શો લગભગ 20 થી 22 મિનિટનો હશે અને તેમાં વિવિધ સાહસિક દાવપેચનો સમાવેશ થશે. તેમણે કહ્યું કે તેનો ઉદ્દેશ્ય યુવાનોને સશસ્ત્ર દળોમાં જોડાવા અને ભારતીય વાયુસેનાની પરાક્રમ દર્શાવવા માટે આકર્ષિત કરવાનો છે. ઘણા સાહસિક એરોબેટિક પરાક્રમોથી ભરપૂર આ પ્રદર્શન હાજર રહેલા બધા પર અમીટ છાપ છોડશે. આ કાર્યક્રમ માત્ર ભારતીય વાયુસેનાની ક્ષમતાઓની ઉજવણી જ નહીં પરંતુ ભારતની હવાઈ પરાક્રમને પ્રત્યક્ષ રીતે જોનારા દર્શકોમાં ગર્વની નવી ભાવના પણ જગાડશે. તેમના અજોડ સુમેળ, હિંમતવાન જુસ્સા અને વિદ્યુત રચનાઓ સાથે, IAF સારંગ ટીમ સાબિત કરવા માટે તૈયાર છે કે, તેઓ શા માટે વિશ્વના શ્રેષ્ઠ હેલિકોપ્ટર ડિસ્પ્લે યુનિટમાંના એક છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 6:34 pm

વડોદરામાં મહિલા સહિત 3 સામે ફરિયાદ:'રૂપીયા નહીં આપે તો તારા હાથ પગ તોડી નાંખી અન્ય કોઈ જગ્યાએ નોકરી નહીં કરવા દઈએ' તેવી વ્યાજખોરોની ધમકી

વડોદરા શહેરના આજવા રોડ પર રહેતા યુવકને વ્યાજખોરોએ વ્યાજે 3 લાખ રૂપિયા આપ્યા હતા અને તેનું ઊંચા દરે વ્યાજ અને મુદ્દલ વસૂલ કરી લીધું હોવા છતાં મહિલા સહિત 3 વ્યાજખોર હજુ પણ પઠાણી વ્યાજની ઉઘરાણી કરે છે. જો રૂપિયા નહીં આપે તો હાથ પગ તોડી નાખવા સાથે અન્ય જગ્યા પર નોકરી નહીં કરવા દે તેવી ધમકી આપતા હોવાથી યુવકે 3 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના આજવા રોડ પર શ્રીહરિ ટાઉનશીપ પાસે આવેલા અંબિકા દર્શન કોમ્પલેક્ષમાં રહેતા દિપક શીવાજીરાવ વાઘે ફરિયાદ નોંધાવી છે કે, હું ભાડેથી મારા કુટુંબ પરીવાર સાથે રહુ છું અને આમોદર ન્યુ વાઘોડીયા રોડ ખાતે વન સ્ટોપ સલનમાં સલૂનના કારીગર તરીકે નોકરી કરું છું. વર્ષ 2019માં મારા પુત્રને ટાઇફોડ થતા તેના સારવાર માટે રૂપીયાની જરૂર પડતા પફેક્ટ કટ શોપના માલિક પ્રફુલ સંભાજી પાટીલ, રોમા પાટીલ તથા આકાશ પાટીલ (રહે. એચ 403 દર્શનમ્ એન્ટીકા, દંતેશ્વર, વડોદરા) પાસેથી 3 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે મારી પાસેથી ઘણી મોટી રકમ વ્યાજ પેટે વસૂલ કરી હતી. તેમ છતા આરોપી પ્રફુલ સંભાજી પાટીલ, આકાશ સંભાજી પાટીલ રોમા પ્રફુલ પાટીલ ત્રણેયે 2019થી આજદિન સુધી મજબુરીનો ફાયદો ઉઠાવી બળજબરી પુર્વક ચક્રવૃધ્ધિ વ્યાજ વસૂલ કરી લીધું હતું તેમની મુદ્લ ઉપર અનેકગણું વ્યાજ ચુકવી દીધું હોવા છતા વારંવાર ઉઘરાણી કરી ફોન પર તેમજ રૂબરૂમાં યુવક તથા તેમની પત્નીને ગાળો આપી મુદ્દલ તથા વ્યાજ નહીં આપે તો હાથ પગ તોડી નાખવાની તથા અન્ય કોઇ જગ્યાએ નોકરી નહી કરવા દઈએ તેવી ધમકી આપી હતી. જેથી મકરપુરા પોલીસે પ્રફુલ સંભાજી પાટીલ, આકાશ સંભાજી પાટીલ તથા રોમા પ્રફુલ પાટીલ ત્રણેય સામે ગુનો કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 6:15 pm

આજે ઇન્ડિગોની 106 ફ્લાઇટ રદ:પેસેન્જર્સે ઍરપોર્ટ પર હોબાળો કર્યો, GSEBએ ધુળેટીના દિવસે પેપર રાખ્યું,અમદાવાદનો સુભાષબ્રિજ ત્રણ મહિના બંધ રહી શકે

આજે ઇન્ડિગોની 106 ફ્લાઇટ રદ પાઇલટ્સ અને ક્રૂ મેમ્બર્સની અછતના કારણે આજે ત્રીજા દિવસે ઇન્ડિગો એરલાઇનની અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 106 ફ્લાઇટ રદ કરવામાં આવી છે.રોષે ભરાયેલા પેસેન્જર્સે એરલાઇન્સ વિરૂદ્ધ નારા લગાવ્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુભાષબ્રિજ ત્રણ મહિના સુધી બંધ રહી શકે અમદાવાદની સાબરમતી નદી પર આવેલા સુભાષબ્રિજનો સ્પાનનો ભાગ બેસી જતા બ્રિજને અવરજવર માટે બંધ કરાયો છે.માહિતી મુજબ ઓવરલોડથી પિલ્લર પર તિરાડ પડવાથી બ્રિજનો ભાગ બેસી ગયો.4 મહિના પહેલાં જ આ બ્રિજનું ઇન્સ્પેક્શન થયું હતું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુરતઃ 55 કરોડના ખર્ચે બનેલો ઓવરબ્રિજ જર્જરિત સુરતમાં 55 કરોડના ખર્ચે બનેલો અણુવ્રતદ્વાર ઓવરબ્રિજ 9 વર્ષમાં જ જર્જરિત બન્યો છે.પિલરમાં તિરાડો પડતાસળિયા દેખાવવા લાગ્યા છે. થોડા સમય પહેલાં જ રિપેરિંગ માટે મહિનો બ્રિજ બંધ કરાયો હતો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ધુળેટીના દિવસે બોર્ડની પરીક્ષાનું પેપર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર રજાઓ જોયા વિના જ ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરી દીધુ. 4 માર્ચે ધુળેટી છે જે દિવસે ધોરણ 10નું સામાજિક વિજ્ઞાન જ્યારે ધોરણ 12ના બંને પ્રવાહમાં મુખ્ય વિષયોના પેપર રાખવામાં આવ્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ટેક્સટાઇલ ઉદ્યોગ પર દિતવાહ વાવાઝોડાની અસર દક્ષિણ ભારતમાં આવેલા દિતવાહ વાવાઝોડાની અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે.ભારે વરસાદ અને પૂરને કારણે ત્યાંની મુખ્ય કાપડ બજારો સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. જેથી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને 200 કરોડના નુકસાનનો ભય છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો માછીમારી કરી પરત ફરી રહેલી બોટ પલટી ગઈ વેરાવળ બંદર નજીક અરબી સમુદ્રમાં માછીમારી કરી પરત ફરી રહેલી ફિશિંગ બોટ પલટી જતાં એક માછીમારનું મોત નિપજ્યું. જ્યારે અન્ય ત્રણ ખલાસીને બચાવી લેવામાં આવ્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પૂર્વ પત્નીના પતિની હત્યા કરનાર યુવકને આજીવન કેદ રાજકોટ શેસન્સ કોર્ટે પૂર્વ પત્નીના પતિની હત્યા કરનાર યુવાનને આજીવન કેદની સજા ફટકારી.પત્નીએ બીજા લગ્ન કરી લેતા પૂર્વ પતિએ યુવકની હત્યા કરી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાત મુલાકાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે.ગાંધીનગરમાં તેમણે અર્થ સમિટનું ઉદ્ઘાટન કર્યું.આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગરના લોકોને ₹1506 કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો જૂનાગઢના MLA સંજય કોરડીયાનું ફેક ID બન્યું જૂનાગઢના MLAનું પાકિસ્તાનથી ફેક ID બન્યું.અજાણ્યા શખસોએ સંજય કોરડીયાની ઈમેજ ખરાબ કરવાના બદઈરાદે ફેસબુક-ઇન્સ્ટાગ્રામનું ફેક ID બનાવ્યું.SOGએ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પૈસાની ઉઘરાણી બાબતે તલવાર-દંડા લઈ આતંક અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી પ્રેમનગર સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો.પૈસાની ઉઘરાણી બાબતે તલવાર અને દંડા લઈ ગાળાગાળી કરી.ગાળો બોલવાની ના પાડતા એક શખ્સ પર હુમલો પણ કર્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:53 pm

આણંદમાં સતત બીજા દિવસે ફૂડ વિભાગની ડ્રાઇવ:યાત્રાધામોમાં ખાદ્ય પદાર્થોનું ચેકિંગ, 25 પેઢીઓમાંથી 12 નમૂના લેવાયા, 4 કિલો બિનઆરોગ્યપ્રદ ખોરાકનો નાશ કરાયો

આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તપાસવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ આજે સતત બીજા દિવસે પણ ચાલુ રહી હતી, જેમાં 25 જેટલી પેઢીઓનું નિરીક્ષણ કરીને 12 ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા. નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈની દેખરેખ હેઠળ, ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા મહીસાગર માતાજીની ચોરી અને વહેરાખાડી મંદિર પરિસર આસપાસ 11 લારી-ગલ્લાઓની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન, બે પેઢીઓ પાસેથી પાપડીનો લોટ અને ચણા દાળના નમૂના લેવાયા હતા. મહીસાગર મંદિર, વાસદ ખાતે ચાર પેઢીઓની તપાસ કરતા, એક લિટર બળેલું તેલ, ત્રણ કિલો વાસી પાપડી અને 500 ગ્રામ ચટણી સહિત કુલ ચાર કિલોથી વધુ બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ઇસ્કોન મંદિર નજીક પાંચ પેઢીઓમાંથી ચાર નમૂના અને લોટીયા ભાગોળ વિસ્તારમાં પાંચ પેઢીઓમાંથી છ નમૂના લેવામાં આવ્યા હતા. આમ, બીજા દિવસે કુલ 25 પેઢીઓમાંથી 12 નમૂના મેળવવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા તમામ લારી-ગલ્લા અને પેઢીઓને ખાદ્ય પદાર્થો સ્વચ્છ અને આરોગ્યપ્રદ સ્થિતિમાં રાખવા, શુદ્ધ, સાત્વિક અને તાજા પીરસવા સૂચના અપાઈ હતી. તેમને આસપાસ સ્વચ્છતા જાળવવા, ગ્લોવ્ઝ અને કેપ પહેરવા તેમજ ફૂડ સેફ્ટીના કાયદાનું પાલન કરવા અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, આણંદના ડેઝીગ્નેટેડ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આણંદ જિલ્લાના યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:49 pm

મોરબી યુથ કોંગ્રેસ પ્રમુખ પદે વસીમ પીપરવાડિયા ચૂંટાયા:નવનિયુક્ત હોદ્દેદારોનો અભિવાદન સમારોહ જિલ્લા કાર્યાલયે યોજાયો

મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ અને તમામ વિધાનસભા બેઠકો માટે યુથ કોંગ્રેસના પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં વિજેતા થયેલા હોદ્દેદારોનો અભિવાદન સમારોહ મોરબીના શનાળા રોડ પર આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયો હતો.આ સમારોહમાં મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોર ચીખલીયા, મહેશ રાજકોટિયા, દીપક પરમાર, અલ્પેશ કોઠીયા સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે નવનિયુક્ત યુથ કોંગ્રેસ પ્રમુખ વસીમ પીપરવાડિયા (મંસુરી) અને તેમની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. આગેવાનોએ આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં મોરબી જિલ્લામાં કોંગ્રેસ વધુ મજબૂત બનશે. મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પદે વસીમ પીપરવાડિયા (મંસુરી) ચૂંટાઈ આવ્યા છે. મોરબી-માળિયા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ પદે રાજ ખાંભરા, ટંકારા-પડધરી વિધાનસભાના પ્રમુખ પદે મિલન સોરીયા, વાંકાનેર વિધાનસભાના પ્રમુખ પદે આબીદ ગઢવારા અને હળવદ વિધાનસભાના પ્રમુખ પદે જીગ્નેશ પીપરીયાની વરણી થઈ છે. આ ઉપરાંત, મોરબી શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ પદે ચિંતન રાજ્યગુરુ, માળિયા શહેરના પ્રમુખ પદે શાહિદ જામ, ટંકારા શહેરના પ્રમુખ પદે રવિ ઘોડાસરા અને વાંકાનેર શહેરના પ્રમુખ પદે શાકિબ શેરશિયા ચૂંટાયા છે. મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ પદે કુલદીપસિંહ જાડેજા, જ્યારે મહામંત્રી પદે મકબૂલ માથકિયા, દેવેન્દ્રસિંહ જાડેજા, ઇકબાલ સંઘવાણી અને ઇમરાન કડીવારની નિમણૂક કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:45 pm

ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો નાર્કો ટેસ્ટ કરાશે:રાજકોટ કોર્ટની મંજૂરી, ગોંડલના રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં નવો વળાંક

ગત 9 માર્ચે, 2025ના રોજ ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપો કર્યા હતા. માર માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. રાજકોટની જ્યુશિયલ મેજિસ્ટ્રેટ ઓફ ધ ફર્સ્ટ ક્લાસ કોર્ટે ગણેશ ગોંડલ તથા ટ્રાવેલ્સ ચાલક રમેશ મેરનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે. આ પહેલાં પોલીસ તપાસમાં મહાસાગર ટ્રાવેલ્સના બસચાલક દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હોવાનું સામે આવતા પોલીસે રમેશ મેર નામના બસચાલકની અટકાયત કરી બસને કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરમાં હાઇકોર્ટે આ કેસની તપાસ સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુ અને Dysp જે.ડી.પુરોહિતને સોંપી હતી. તપાસનો પ્રથમ પ્રોગ્રેસ રિપોર્ટ 10 ડિસેમ્બરે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂકશે. ગુનો અનડિટેક્ટ હોવાથી અલગ અલગ ટીમો બનાવાઈ હતી9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની ઓળખ થયા બાદ 14 માર્ચે તેનું મોત ટ્રાવેલ્સની અડફેટે આવવાથી અકસ્માત થયું હોવાનો રાજકોટ પોલીસે ખુલાસો કર્યો હતો. તે સમયે રાજકોટ DCP ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, યુવાનનું આઈડેન્ટિફિકેશન તારીખ 9ના થયું હતું. આઇડેન્ટિફિકેશન થયા બાદ ફરિયાદીની ફરિયાદ લઈને ફેટલ એક્સિડન્ટનો ગુનો સૌપ્રથમ દાખલ કરવામાં આવ્યો હતો. ફેટલ એક્સિડન્ટનો ગુનો અનડિટેક્ટ હોવાથી અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. આ બનાવ ખૂબ જ ચર્ચાસ્પદ થયેલો હોવાથી પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા દ્વારા અલગ અલગ ટીમો બનાવવાની સૂચના આપવામાં આવી હતી. જેના આધારે SOG, કુવાડવા રોડ પોલીસ મથક, LCB, ઝોન-1 એમ અલગ અલગ ટીમો બનાવીને વિવિધ સ્થળોએ સતત ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ સિનિયર અધિકારીઓ કે જેમાં પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, ઝોન-1 અને અમારા દ્વારા સ્થળની વિઝીટ કરવામાં આવી હતી. જે વિઝીટ કરીને કયા સમયગાળા દરમિયાન આ બનાવ બની શક્યો હોય તે જોવામાં આવ્યું હતું. આ પણ વાંચો... મૃતકની બોડી પર ઈજાનો દાવો, વીડિયો ભાસ્કર પાસે મહાસાગર ટ્રાવેલ્સની 3131 નંબરની બસ શંકાસ્પદ જણાઈઆપણી પાસે એક સમયગાળો હતો કે, આશરે 2.15થી 2.30 વાગ્યા દરમિયાન બનાવ બન્યો હોઈ શકે છે. આ બનાવ બન્યાની સંભાવનાને ધ્યાનમાં રાખીને એ સમયગાળા દરમિયાન કયા કયા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેની તપાસ હાથ ધરવામાં આવી અને 150થી વધુ CCTV કેમેરા ચારથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં ચકાસવામાં આવ્યા. આ બધા સીસીટીવી કેમેરાની ચકાસણી ચાલુ હતી ત્યારે એક ડમ્પરચાલક દ્વારા માહિતી મળી કે, તે જ્યારે 2.33 વાગ્યા આસપાસ પસાર થાય છે તેની પહેલા ત્યાં મૃતદેહ પડેલો હતો. તે ધ્યાનમાં રાખીને અને કઈ બસ તેની આગળ ચાલતી હતી. તેની માહિતી મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવી. ત્યારે મહાસાગર ટ્રાવેલ્સની 3131 નંબરની બસ શંકાસ્પદ જણાઈ. ડ્રાઇવરે અકસ્માત સર્જ્યો હોવાની કબૂલાત આપીશંકાસ્પદ બસના આધારે તેની ટ્રીપની માહિતી મેળવી ડ્રાઇવર કોણ હતું તેની માહિતી મેળવી અને આગળ જૂનાગઢ પોલીસની મદદ લઈને તે ડ્રાઇવરની પૂછપરછ હાથ ધરવામાં આવી અને પૂછપરછના અંતે તે ડ્રાઈવર દ્વારા રાત્રિનો સમય હોવાથી બ્રિજથી તે નીચે ઉતરતા હતા. તે જ સમયે આ વ્યક્તિ રસ્તાની વચ્ચે ચાલ્યો જતો હતો અને આંખ પર પ્રકાશ પડતા ભૂલથી તેનાથી એક્સિડન્ટ થઈ ગયું તેવી કબૂલાત આપવામાં આવી હતી. આ કબૂલાતના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી. સાથે અન્ય સાહેદોના નિવેદનો લેવા માટેની તજવીજ કુવાડવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. બસની ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ બાબતે બીજું કોઈ એંગલ છે કે કેમ તેની તપાસ પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવશે. ડ્રાઇવરે માલિકને રોઝડું આવી ગયું હોવાનું કહી ખોટું કીધુંતેમણે વધુમાં જણાવ્યું હતું કે, બસથી અકસ્માત થયો હોઈ શકે છે તે સંભાવનાના આધારે શંકાસ્પદ બસોના ડ્રાઈવરો અને માલિકોની પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન આરોપી બસના ડ્રાઈવર દ્વારા કબૂલાત આપવામાં આવી તેના આધારે ડિટેક્શન થયું. આ અકસ્માત સર્જાયો ત્યારબાદ ડ્રાઇવર દ્વારા પોતાના માલિકને કોઈ જાણ કરવામાં આવી ન હતી. જોકે તેના ક્લીનરને જાણ કરી કે કદાચ આ રીતનો કોઈ બનાવ બની ગયો છે અને આગળ આ બાબતે આપણે શું કરવું. જે બાદ અમદાવાદ ખાતે પહોંચીને ડ્રાઇવર દ્વારા પોતાના માલિકને જાણ કરવામાં આવે છે કે, રોજડુ આવી ગયું હતું જો કે તે બાદ એવી કબૂલાત આપવામાં આવે છે કે, ડરના કારણે હું ખોટું બોલ્યો હતો ખરેખર એક વ્યક્તિને ટક્કર લાગી હતી. આ સમયગાળા દરમિયાન ફોર વ્હીલર અને ડમ્પર સહિતના મોટા વાહનો ગણીએ તો 12થી વધુ પસાર થયા હતા અને ટોટલ 46 વાહનો 15થી 20 મિનિટના સમયગાળા દરમિયાન પસાર થયા હતા. મૃતકને ઈજા હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટથી થઈરાત્રિનો સમય હતો તેને કારણે લોકોને વધુ આઈડીયા આવ્યો ન હતો, થોડું બમ્પ જેવું આવ્યું હતું અને ક્લીનર જાગ્યો ત્યારે તેને ડ્રાઇવર દ્વારા જાણ કરવામાં આવી. યુવાનની ગુમ નોંધ તા. 6ના સવારે કરવામા આવી છે. જાણવાજોગની પ્રોસિઝર પછી ગુમ નોંધ બાદ તેમના દ્વારા બ્રોડકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. સામે પક્ષે આપણે પણ અહીં બ્રોડકાસ્ટિંગ કરેલું હતું અને તેના આધારે તા. 9ના આઇડેન્ટીફીકેશન થયું હતું. જે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ છે અને 43 ઈજાની વાત છે તે તમામ હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટથી થઈ છે. તેઓએ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લખેલું છે અને આ પ્રકારના અકસ્માતની અંદર હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટથી ઈજા થતી હોય છે તેવું અનેક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવતું હોય છે. નેશનલ હાઈવે ઉપર આટલી સ્પીડથી વાહનો પસાર થતા હોય અને રસ્તાની વચ્ચે અકસ્માત થાય ત્યારે વ્યક્તિને અનેક ઈજા થવાની સંભાવના છે, પરંતુ આ બાબતે પોલીસ તપાસ સતત શરૂ રાખશે કે આ તમામ ઇજા કઈ રીતે થઈ છે. જેથી આગામી દિવસોમાં કલેરીફિકેશન આવશે. બનાવ બન્યો તે સ્થળે કોઈ CCTV જ નથીજે જગ્યાએ બનાવ બન્યો છે તેના સીસીટીવી કોઈપણ જગ્યાએ ઉપલબ્ધ નથી. તેનાથી આગળ અને પાછળ સીસીટીવી છે તેનાથી અલગ અલગ બસોની મુવમેન્ટ જ દેખાય છે અને હાલ જે કબૂલાત કરવામાં આવેલી છે અને બસમાં જે ડેમેજ છે તેના આધારે ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા તમામ જગ્યાએ એટલે કે જે જગ્યાએ બોડી લઈ જવામાં આવી અને હોસ્પિટલમાં જે બનાવ બન્યો તે તમામ જગ્યાએ સીસીટીવી કબજે કરી તપાસ હાથ ધરવામાં આવી છે. જે કોઈપણ વાહન હતા તેની મુવમેન્ટ તપાસવામાં આવી છે. એમ્બ્યુલન્સના ધ્યાને બોડી આવતા સિવિલ ખસેડી હતી શંકાસ્પદ 78 વાહનોનું ઝીરોઇંગ કરી તેમાં આ બસ વધુ શંકાસ્પદ જણાતા અને આગળ તપાસ કરતા ડ્રાઇવર દ્વારા કબૂલાત આપવામાં આવી છે. હાલ ફેટલ એક્સિડન્ટ હોવાથી તેના ડિટેકશન ઉપર ફોકસ હતું અને તેને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી છે. આગામી દિવસોમાં કઈપણ શંકાસ્પદ જણાશે અને જે લોકો વિરુદ્ધ આક્ષેપો હશે અને જે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિઓ હશે તે તમામની પૂછપરછ કરવામાં આવશે. 108 એમ્બ્યુલન્સને આ બોડી ધ્યાને આવતા તેમના દ્વારા બોડી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મહાસાગર ટ્રાવેલ્સની અમદાવાદ તરફ જતી બસની અડફેટે ગોંડલના રાજસ્થાની યુવાન રાજકુમાર જાટનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. યુવાનના મોત બાદ મૃતક યુવાનનાં પરિવારજનો દ્વારા હત્યાના આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા. પરંતુ પોલીસ દ્વારા મૃત્યુ થયાના સમય પહેલાંના અને આસપાસના રાજકોટથી કુવાડવા સુધીના અંતરમાં જેટલાં વાહન પાસ થયાં તેના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. આ દરમિયાન માહિતી મળતાં પોલીસ દ્વારા મહાસાગર ટ્રાવેલ્સના સંચાલકનો સંપર્ક કરી બસચાલકની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે બે દિવસ સુધી બસચાલકે પશુ સાથે બસ અથડાઈ હોવાનું જણાવ્યું હતું. પરંતુ 13 માર્ચના રોજ બસચાલકે અકસ્માત પોતે જ કર્યો હોવાનું જણાવી દીધું હતું. પોલીસે અધૂરા CCTV જાહેર કર્યાઅગાઉ મૃતક યુવાન રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મને ન્યાય મળ્યો નથી મારે ન્યાય જોઈએ છે. ન્યાય માટે કદાચ ભારતની સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ સુધી લડવું પડે તો પણ મારી તૈયારી છે. પોલીસ દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરના જે CCTV જાહેર કરવામાં આવ્યા છે તે અધૂરા છે. અમે ત્યાં અંદર લગભગ 15થી 20 મિનિટ સુધી ઘરમાં રહ્યા હતા. પોલીસે જે જાહેર કર્યા તે અધૂરા CCTV છે એડિટ કરેલા CCTV છે. 'દીકરાને મારી નાખ્યો, બોડી પર ઈજાનાં નિશાન હતાં'મને હવે CCTV ઉપર પણ ભરોસો નથી આવતો. મારા દીકરાને મારી નાખવામાં આવ્યો છે. મારા દીકરાના શરીર ઉપર ઈજાનાં નિશાન પણ જોવા મળ્યાં છે. નિશાન કેટલાં છે એ ગણ્યાં નથી પરંતુ અનેક ઈજાનાં નિશાન જોવા મળ્યાં હતાં તે શંકા ઉપજાવી રહ્યાં છે. મારે ન્યાય જોઈએ છે હું ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધી લડવું પડશે તો લડીશ મારી તૈયારી છે. ફોરેન્સિક PMના પ્રાથમિક રિપોર્ટમાં અક્સ્માતથી મોતગોંડલના રાજસ્થાની યુવાન રાજકુમાર જાટના મોતને લઈ ACP રાજેશ બારિયાનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું હતું કે, રાજકુમારના મોત મામલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં શરીર પર 42 ઈજાનાં નિશાનો જોવા મળ્યાં છે. આ ઈજા પ્રાથમિક દૃષ્ટિએ અકસ્માતને કારણે હોય તેવું લાગી રહ્યું છે. યુવકને કપડાં આપનારની ઓળખ થઈ હતીશાપરથી અકસ્માત બન્યો તે જગ્યા સુધીના CCTV ફૂટેજ ચેક કરતા ગોંડલ-રાજકોટ હાઇવે પર નિર્વસ્ત્ર હાલતમાં યુવક રસ્તા પરથી પસાર થતો જોવા મળ્યો હતો. આ પછી યુવકને કપડાં આપનારની પણ ઓળખ કરી તેનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું. શું હતો સમગ્ર મામલો?મૂળ રાજસ્થાનના અને આશરે 30 વર્ષથી ગોંડલમાં ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાંઉભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. બે દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા 5 માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી. આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાનાં પોસ્ટર લાગ્યાં હતાં. મૃતક રાજકુમાર UPSCની તૈયારી કરતો હતો. ઉલ્લેખનીય છે કે 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું. 9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની પરિવારજનોએ ઓળખ કરી હતી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. વાંચવા માટે ક્લિક કરો.... પિતાએ કહ્યું- ગણેશે બે લાફા માર્યા પછી ઓર્ડર આપ્યો ચાલુ પડી જાવ

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:43 pm

અમરેલીમાં દિવ્યાંગજનોને ₹15.40 લાખની સાધન સહાય અપાઈ:રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે હાર્મોનિયમનું વિતરણ કરાયું

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા 'દિવ્યાંગ સાધન સહાય વિતરણ' કાર્યક્રમ યોજાયો હતો. શહેરના ડો. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિવ્યાંગજનોને કુલ ₹15,40,575 ની કિંમતના હાર્મોનિયમનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી કૌશિક વેકરીયા અને જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના હસ્તે આ સાધન સહાયનું વિતરણ કરાયું હતું. રાજ્ય સરકારની યોજના અંતર્ગત 167 લાભાર્થીઓને હાર્મોનિયમની ભેટ મળી હતી. આ પ્રસંગે પ્રેરક સંબોધન કરતા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું કે, અગાઉ વિવિધ પ્રકારની શારીરિક ક્ષતિ ધરાવતા ભાઈઓ અને બહેનોને 'દિવ્યાંગ' તરીકે ઓળખ આપવામાં આવી છે. દિવ્યાંગ શબ્દને ખરા અર્થમાં સાર્થક કરવા માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવી છે, જેનો વિશાળ સંખ્યામાં દિવ્યાંગજનો લાભ લઈ રહ્યા છે. મંત્રી વેકરીયાએ વધુમાં કહ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હંમેશા દિવ્યાંગોની ચિંતા કરે છે અને તેમના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ રહે છે. પહેલા જે યોજનાના લાભ લેવા માટે BPL સ્કોરના દાખલાની જરૂર પડતી હતી, તેના બદલે મુખ્યમંત્રીએ દરેક યોજનામાંથી BPL સ્કોરને દૂર કર્યો છે. તેમણે ઉમેર્યું કે, પહેલા દર મહિને ₹1,000 ની આર્થિક સહાય યોજના માટે 80% દિવ્યાંગતા જરૂરી હતી, તેના બદલે 60% દિવ્યાંગતાની મર્યાદા મુખ્યમંત્રીના સંવેદનશીલ નિર્ણયના લીધે મહત્તમ દિવ્યાંગજનો યોજનાનો લાભ લઈ રહ્યા છે. અમરેલીના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા જિલ્લામાં દિવ્યાંગજનો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. સંત સુરદાસ યોજનામાં 2,878 લાભાર્થીઓને, દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો 37 દિવ્યાંગોને અને નિરામય હેલ્થ ઇન્શ્યોરન્સ યોજનાનો 1,109 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, બૌદ્ધિક અસમર્થતા ધરાવતા 2,294 મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય યોજનાનો લાભ મળ્યો છે. 154 લાભાર્થીઓને દિવ્યાંગ સાધન સહાય યોજનાનો અને 101 લાભાર્થીઓને શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી એસ.ટી. બસમાં નિઃશુલ્ક મુસાફરીની યોજનાનો લાભ 16,729 વ્યક્તિઓને આપવામાં આવ્યો છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે ઉપસ્થિત લાભાર્થીઓને જણાવ્યું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દિવ્યાંગજનોને અનેક યોજનાઓનો લાભ આપી રહી છે, જેનો મોટી સંખ્યામાં દિવ્યાંગજનોને લાભ મળી રહ્યો છે. તેમણે વધુમાં વધુ દિવ્યાંગજનોને આ યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એન.એમ.પુરોહિતે રાજ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરશનું અભિવાદન કરીને પ્રાસંગિક ઉદ્ધબોધન કર્યું હતું. કાર્યક્રમમાં દિવ્યાંગ લાભાર્થીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:34 pm

મોહબતપરામાં પ્રાકૃતિક ખેતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો:ખેડૂતોને જીવામૃત બનાવવાની પદ્ધતિ અને ફાયદા સમજાવ્યા, પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો અંગે માર્ગદર્શન અપાયું

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ઇશ્વરીયા ક્લસ્ટરના મોહબતપરા ગામ ખાતે 5 ડિસેમ્બર, 2025ના રોજ પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ આ ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન એગ્રી અસિસ્ટન્ટ પારસ મારુએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે ખાસ કરીને પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને જીવામૃત તૈયાર કરવાની પદ્ધતિનું પ્રાયોગિક નિદર્શન પણ કર્યું હતું. આ ઉપરાંત, ખેડૂતોને સ્વદેશી ઇનપુટ્સ અપનાવવાથી થતા ફાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં રવિ પાક અંગે માર્ગદર્શન, પાક સંભાળ અને ઉત્પાદન વૃદ્ધિ માટે જરૂરી બાબતો વિશે પણ ખેડૂતોને સમજાવવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:33 pm

ગેરકાયદેસર કોલસાના કૂવાનું બુરાણ શરૂ:ચોટીલા નાયબ કલેક્ટરની મુળીના ભેટ ગામમાં કાર્યવાહી

ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા મુળી તાલુકાના ભેટ ગામમાં ગેરકાયદેસર કોલસાના કુવાઓનું બુરાણ કરવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. 5 ડિસેમ્બર, 2025ના રોજ વહેલી સવારથી બે લોડર મશીનની મદદથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અગાઉ, 3 એપ્રિલ, 2025ના રોજ નાયબ કલેક્ટર મકવાણાએ ચોટીલા સબ-ડિવિઝન હેઠળના ભેટ ગામના સરકારી સર્વે નંબર 35 વાળી જમીનમાં દરોડા પાડી ગેરકાયદેસર કોલસાના કુવાઓ જપ્ત કર્યા હતા. આ દરોડા દરમિયાન, ટીમે ગેરકાયદેસર કોલસાનું ખનન કરતા કુલ 16 કોલસાના કુવાઓ શોધી કાઢ્યા હતા. સ્થળ પરથી મુદ્દામાલ જપ્ત કરીને તેને મામલતદાર કચેરી, ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 150 મેટ્રિક ટન કોલસો, 15 ચરખી, 16 બકેટ, 3 ડમ્પર, 2 લોડર મશીન, 5 ટ્રેક્ટર, 5 બાઈક, 2 કમ્પ્રેશન મશીન અને 1 જનરેટરનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 2,87,30,000 આંકવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન, કોલસાના કુવામાંથી 16 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. હાલમાં, તમામ વાહન માલિકોના નામો ઓળખવાની કામગીરી ચાલી રહી છે અને ઓળખ થયા બાદ તેમની સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. ગેરકાયદેસર કોલસાનું ખોદકામ કરનારા ઈસમોમાં રઘુભાઈ કોળી પટેલ (ચૂપની, હળવદ), મેરાભાઈ ભલાભાઈ કોળી પટેલ (સરસાણા, થાનગઢ), રઘાભાઈ કોળી પટેલ (રાણીપાટ, મુળી), દિનેશભાઈ કાંજિયા (ધોરિયા) (ગાંજીયાવદર, વાંકાનેર), કાનાભાઈ ચંદનભાઈ દરબાર (થાનગઢ) અને મનસુખભાઈ કોળી પટેલ (ભેટ, મુળી) નો સમાવેશ થાય છે. ઉપરોક્ત તમામ ઈસમો સામે ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઈનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, 2017) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, તેમની સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. આસપાસના વિસ્તારમાંથી મળી આવેલા 27 મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પરપ્રાંતીય મજૂરોને આવી જોખમી કામગીરી ન કરવા સમજાવીને રવાના કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:24 pm

સ્કૂલ-કોલેજના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડવનાર કાપડ વેપારી ઝડપાયો:13 લાખથી વધુનો ગાંજો જપ્ત, થાઇલેન્ડથી હાઇબ્રિડ ગાંજો મંગાવી સુરતમાં વેચતો, ફોનમાંથી યુવાઓની 'ગ્રાહક લિસ્ટ' મળી

થાઇલેન્ડથી પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો મંગાવીને સુરતના યુવાનોને વેચવાના એક મોટા નેક્સસનો પર્દાફાશ થયો છે. આ નેક્સસમાં સંકળાયેલા કાપડના વેપારી ઋષભ નવરત્મલ મહનોતના પેડલર સૌરભ નરેશભાઇ ચૌહાણની SOGએ ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ઋષભ હાલ ફરાર છે. 13 લાખથી વધુના ગાંજા સાથે પેડલર ઝડપાયો છે SOGએ છટકું ગોઠવી ડ્રગ પેડલરને પકડી પાડ્યોઅડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી SOGએ આરોપી સૌરભ ચૌહાણને પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. SOGની ટીમે બાતમીના આધારે અડાજણ, હનીપાર્ક રોડ પર આવેલા સાંઇરામ રો હાઉસના ગેટ પાસે છટકું ગોઠવ્યું હતું. અહીંથી આરોપી સૌરભ નરેશભાઇ ચૌહાણ (ઉંમર: 27, ધંધો: કાપડનો વેપાર) ને પકડી પાડવામાં આવ્યો હતો. જપ્ત થયેલ ગાંજો વજન 374 ગ્રામ છે જેની કિંમત 13,09,000 છે. ઝડપાયેલો આરોપી સૌરભ ચૌહાણ કાપડના વ્યવસાય સાથે પણ સંકળાયેલો છે અને તે ફરાર આરોપી ઋષભ મહનોતના ઘરે જ રહેતો અને તેના માટે ગાંજાની ડિલિવરી કરવાનું કામ કરતો હતો. થાઇલેન્ડ કનેક્શન અને 'યુથ લિસ્ટ'નો ખુલાસોSOGની તપાસમાં આ નેટવર્કનું ચોંકાવનારું આંતરરાષ્ટ્રીય કનેક્શન સામે આવ્યું છે. મુખ્ય આરોપી ઋષભ મહનોત થાઇલેન્ડથી ગાંજાનો જથ્થો પાર્સલ મારફતે મંગાવતો હતો, જે પછી સુરતના યુવાનોને વેચતો હતો. સૌરભ ચૌહાણની ધરપકડ બાદ પોલીસે જ્યારે તેના મોબાઈલ ફોનની તપાસ કરી, ત્યારે એક મોટો ખુલાસો થયો. SOGને મોબાઈલમાંથી નામ અને મોબાઈલ નંબર સાથેની યુવા ગ્રાહકોની એક લિસ્ટ મળી આવી છે. શાળા અને કોલેજના ટીનેજર્સને ટાર્ગેટ કરીને ગાંજો વેચતાપોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારાએ આ મામલે વિગત આપતા જણાવ્યું કે, આરોપીના મોબાઇલમાં મળેલી લિસ્ટ પરથી જાણવા મળ્યું છે કે, આ લોકો ખાસ કરીને શાળા અને કોલેજના ટીનેજર્સને ટાર્ગેટ કરીને ગાંજો વેચતા હતા. મોબાઇલમાં VPN નંબર પણ મળી આવ્યા છે, જેના આધારે પુષ્ટિ થઈ છે કે આ ગાંજો તેઓ થાઇલેન્ડથી મંગાવતા હતા. હાઇબ્રિડ ગાંજાના નેટવર્કમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતાહાલમાં, પોલીસે આ લિસ્ટના આધારે તપાસ શરૂ કરી દીધી છે કે, આ આરોપીઓ કઈ રીતે યુવાઓને ટાર્ગેટ કરી રહ્યા હતા. SOGની આ તપાસમાં થાઇલેન્ડથી ચાલતા આ હાઇબ્રિડ ગાંજાના નેટવર્કમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. પોલીસે આ મામલે સૌરભ ચૌહાણ અને તેને ગાંજાનો જથ્થો મંગાવનાર આગમ ઉત્તમ પટેલ (સાંઇરામ રો હાઉસમાં રહેતો, જે ડિલિવરી સમયે ફરાર થઈ ગયો) સહિત બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. વાલીઓને પોલીસની ખાસ અપીલપોલીસ ઇન્સ્પેક્ટર સોનારાએ સુરત શહેરના વાલીઓને સાવધાન રહેવા માટે ખાસ અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, ગાંજો એક એવો પદાર્થ છે, જેની ગંધ કપડાંમાં લાંબા સમય સુધી રહે છે. તેથી, વાલીઓએ પોતાના બાળકોના કપડાં પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. જો કોઈપણ પ્રકારની ગાંજા જેવી ગંધ લાગે, તો તાત્કાલિક સુરત પોલીસનો સંપર્ક કરવો.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:23 pm

જામનગરમાં આમ આદમી પાર્ટીની બાઇક રેલી:ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા જોડાયા અને ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ જોડાયા, ટાઉનહોલમાં જનસભા યોજાઇ

જામનગરમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા બાઇક રેલી અને જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાત AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો રેલી ફરીબાઇક રેલીનું પ્રસ્થાન મહાપ્રભુજીની બેઠકથી કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના મુખ્ય માર્ગો જેવા કે કાલાવડ નાકા, દરબારગઢ, ચાંદી બજાર, દીપક ટોકીઝ અને બેડી ગેટ થઈને ટાઉન હોલ સુધી પહોંચી હતી. ટાઉન હોલના પટાંગણમાં જનસભા યોજાઇબાઇક રેલી બાદ ટાઉન હોલના પટાંગણમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ઉપસ્થિત નેતાઓએ સભાને સંબોધી હતી. આ કાર્યક્રમનું આયોજન જામનગર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:14 pm

હિંમતનગર PM શ્રી કેન્દ્રીય વિદ્યાલયમાં વાર્ષિક ખેલકૂદ દિવસ યોજાયો:વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લઈ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું, MLA દ્વારા ઔપચારિક ઉદ્ઘાટન

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-વિજાપુર રોડ પર આવેલી PM શ્રી કેન્દ્રીય વિદ્યાલયમાં શુક્રવારે વાર્ષિક ખેલકૂદ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લઈ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે હિંમતનગરના પ્રાંત અધિકારી વિમલ ચૌધરી, માલીવાડ ગ્રામ પંચાયતના સરપંચ ચંદ્રિકાબેન અને રેન્જ ફોરેસ્ટ અધિકારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાલયના આચાર્ય મહેન્દ્ર પ્રસાદે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ખેલકૂદ દિવસના પ્રારંભે વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું અભિવાદન કર્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ યોગા, ડાન્સ અને એરોબિક્સના આકર્ષક પ્રદર્શન કર્યા હતા. મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયા બાદ ધારાસભ્ય વી.ડી. ઝાલાએ ખેલકૂદ સ્પર્ધાઓનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ રમતવીર વિદ્યાર્થીઓએ માર્ચ પાસ્ટ કરી રમતમાં ભાગ લેવા માટેના શપથ લીધા હતા. એક દિવસીય ખેલકૂદ દિવસમાં દોડ, ગોળાફેંક, ચક્રફેંક, બરછીફેંક, ફૂટબોલ, રસ્સા ખેંચ અને દેડકાદોડ જેવી વિવિધ સ્પર્ધાઓ સફળતાપૂર્વક યોજાઈ હતી. આ તમામ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. દરેક ઇવેન્ટમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. વિદ્યાલયના તમામ સ્ટાફ સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સઘન જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:11 pm

ટ્વિન્સને જન્મ બાદ માતાનું મોત છતાં અંગૂઠાનું નિશાન લેવાયું:મહિલા તો સહી કરતી હતી, સુરતમાં ડોક્ટરની બેદરકારીથી મોતના આક્ષેપ સાથે પરિવારનું કલેક્ટરને આવેદન

સુરતના પુણા વિસ્તારમાં આવેલી સદવિચાર હોસ્પિટલ માં બે જોડીયા બાળકોને જન્મ આપ્યા બાદ માતાનું મોત નીપજ્યું હતું. 30 વર્ષીય મહિલા નિકિતા ગોસ્વામીનું ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનો અને સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના પગલે સમાજના લોકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા અને એસઆઈટીની કમિટી બનાવવા માંગ કરવામાં આવશે. આ સાથે આક્ષેપ પણ કરવામાં આવ્યું હતું કે નિકિતાબેનનું મોત થઈ ગયું હોવા છતાં પણ તેના અંગૂઠાનું નિશાન લેવામાં આવ્યું હતું. જ્યારે નિકિતાબેન તો સહી કરતા હતા. SIT કમિટી બનાવવા પરિવારની માગસુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી સદવિચાર હોસ્પીટલ ખાતે 30 વર્ષીય નિકીતા ગોસ્વામીની ઓપરેશન થિયેટરમાં સિઝરીયન ડિલવરી સમયે 2 બાળકોને જન્મ આપ્યા બાદ પરિજનોના આક્ષેપ મુજબ ડોક્ટરની બેદરકારીના કારણે માતા (નિકીતા ગોસ્વામી)નું મૃત્યુ થયું છે. સાધુ સમાજની દિકરીને ન્યાય અર્થે થોડી લાગણી અને માગણીઓ છે, જે યોગ્ય ન્યાયિક અને પુરતી તપાસ માટે SIT કમિટીનું ગઠન કરવા રજૂઆત છે. 'હોસ્પિટલની બેદરકારીથી મારી બહેનનું મૃત્યુ થયું'મૃતક નિકિતાની ડોક્ટર બહેન હેતવાંશી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલની બેદરકારીથી મારી બહેનનું મૃત્યુ થઈ જાય છે, પછી અમને બે-ત્રણ કલાક પછી જાણ કરવામાં આવે છે કે તમારા સગા છે એ મરી ગયો છે. એના હાથમાં ખોટા સહી સિક્કા અને અંગૂઠા લેવામાં આવે છે. આટલી બેદરકારી છે હોસ્પિટલવાળાની. અમારે બસ ન્યાય જોઈએ છે. આજે અમારી બેન-દીકરી, કાલે તમારી બેન-દીકરી હશે. બસ જો ન્યાય માટે માંગણી કરીએ. બધા કર્મચારીઓ અને સરકારી જે બધા છે ઈ અમને મદદ કરે અને ન્યાય માટે અમારી સાથે રહે. 'મૃતદેહ પાસેથી છાપ લઈ છે અંગૂઠાની'વધુમાં જણાવ્યું હતું કે, મારી બેનને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. ત્યારે મારી બેન એકદમ તંદુરસ્ત રીતે અંદર જાય છે. બહાર નીકળે છે ત્યારે અમને ડૉક્ટર જાણ નથી કરતા કે તમારી તમારું જે પેશન્ટ છે એનું મૃત્યુ થઈ ગયું છે. ડોક્ટર બહેને કહ્યું - ડોક્ટરો માટે આ એક કલંક છેહેતવાંશી ગોસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, ડોક્ટર ભગવાનનું એક રૂપ કહેવાયને પણ એવું કંઈ છે નહીં આમાં. અત્યારે ડોક્ટરની પૂરેપૂરી બેદરકારી છે. ડોક્ટર ભગવાનનું રૂપ માને છે એ જ તકલીફ છે કે આ એક અમારા માટે પણ એક કલંકની વસ્તુ છે કે એક ડોક્ટર થઈને અમે એક માણસને બચાવી નથી શકતા. હું ડોક્ટર છું એટલે મને ખબર છે. એ મારી બેન છે ને હું ડોક્ટર પણ છું. તો એ ખબર પડે. એની જગ્યાએ અમારા ઘરનું કોઈ ગયું હોત તો અમને કેટલી તકલીફ થાત? તો બસ એ જ છે. અમારો ન્યાય મળે. અમારી માગ છે બસ એમના છોકરાને અને એમને ન્યાય મળે અને પૂરેપૂરી રીતે કોઈ એટલે કોઈ ઇન્વેસ્ટિગેશન કરો કેસની કે જે જે વસ્તુ અંદર બની છે, જે વસ્તુ બધાની સામે આવે કે મતલબ કોઈને સામે લડવું હોય ને, કોઈ બેન-દીકરીને કંઈકથી લડવું હોય તો એનામાં હિંમત આવે કે ભલે આપણી બેન-દીકરીને કંઈ થયું છે પણ આપણે લડવું જ જોઈએ બધાની સામે અને ન્યાય મળે. બંને સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવીદશનામ ગોસ્વામી સમાજના હિતેશગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, નિકિતાબેનનું મોત થવાના કારણે તેમના બંને સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. જેના પગલે સમા દ્વારા અલગ અલગ માંગણીઓ કરવામાં આવી છે. જેમ કે એનેસ્થેટિક ડોક્ટર કોણ હતા, ઓપરેશન પહેલા ક્યારે આવ્યા, ક્યારે ગયા તે સીસીટીવી રેકર્ડ મુજબ તપાસવુ. એનેસ્થેટિક ડોક્ટરે સારવાર પેપરમાં મારેલી નોંધ તેજ ડોક્ટરના અક્ષરો છે તેનો એફએસએલ રિપોર્ટ કરવુ. આઈસીયુમાં ક્યા પ્રકારની સારવાર આપેલ?પેશન્ટને ક્યા પ્રકારનું અનેસ્થેસિયા આપવામાં આવેલ હતુ અને શું કામ ? આઈસીયુ સરકારની ગાઈડલાઈન મુજબ નિયમોને આધિન છે કે કેમ ? (ડબલ ડોર અને પાંચ બેડ નથી). આઈસીયુમાં ક્યા પ્રકારની સારવાર આપેલ અને હાજર તમામ સ્ટાફની ડિગ્રી તપાસવી. આઈસીયુમાં બિનજરૂરી લોકોની અવરજવર મનાઈ હોય છે તો સીસીટીવી મુજબ તપાસ કરવી. ટ્વિન્સ બાળકો હતા માટે ઓપરેશન સમયે બાળકોના ડોક્ટર હાજર હતા કે કેમ તેની તપાસ કરવી. 'ડોક્ટરે કરેલા ઓપરેશનોમાં થયેલ બેદરકારીની તપાસ કરવી'જો ડોક્ટરને ખ્યાલ હતો કે પેશન્ટ હાઈ-રીસ્ક છે, તો ઈન્ટેન્સિવિસ્ટ તરીકે કોણ હાજર હતું? જો કેસ ઈમરજન્સી હતો તો ફિઝિશિયન ફિટનેસ રીપોર્ટ છે કે કેમ, કયા કારણોસર ઈમરજન્સી નક્કી કર્યું? હોસ્પીટલમાં પીએમજે યોજના કાર્યરત હતી તો ડિલવરી પીએમ જે યોજનામાં કેમ કરવામાં ન આવી. હોસ્પિટલ ચલાવવા માટે જરૂરી BUC, BMW, GPCB, ફાયર, ક્લિનિકલ એસ્ટૈબ્લિશમેંટ, વગેરે ચેક કરવું. ડૉ. વિણા કંડેલ અને ડૉ. વાળા દ્વારા અગાઉ થયેલ ઓપરેશનોમાં થયેલ બેદરકારીની અરજીઓ અને એફઆઈઆરની તપાસ કરવી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:09 pm

સુરત બીટકોઇન કૌભાંડમાં ત્રણ આરોપીઓને હાઇકોર્ટે ઝટકો આપ્યો:હિતેશ-ગોરધન ગોરસીયા અને વર્ષાબેન માવાણીની ડિસ્ચાર્જ અરજી ફગાવી, EDએ કરોડોની મિલકત-ક્રિપ્ટો કરન્સી જપ્ત કરી

સુરતના ચકચારી બીટકોઈન કેસમાં EDએ સતીશ કુંભાણી સહિત 6 લોકો સામે અમદાવાદમાં આવેલી વિશેષ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ અદાલતમાં કેસ દાખલ કર્યો છે. જે પૈકી ત્રણ આરોપીઓ હિતેશ ગોરસીયા, વર્ષાબેન માવાણી અને ગોરધન ગોરસીયા દ્વારા કેસમાંથી ડિસ્ચાર્જ મેળવવા માટે અદાલત સમક્ષ અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટે નકારી દેતા તેઓ ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા હતા પરંતુ, ગુજરાત હાઇકોર્ટે પણ તેઓની અરજી નકારી નાખી છે. જુદી-જુદી ડિજિટલ કંપનીઓ બનાવી લોકોને ઊંચા વળતરની લાલચ આપીને રોકાણ કરવા આકર્ષ્યાઆ કેસને વિગતે જોતા સુરતના CID ક્રાઇમ પોલીસ મથકે વર્ષ 2018માં ફરિયાદ નોંધાઈ હતી. જે મુજબ સતીશ કુંભાણી, ધવલ માવાણી વગેરે આરોપીઓએ RBIની મંજૂરી લીધા વગર જુદી-જુદી ડિજિટલ કંપનીઓ બનાવીને લોકોને ઊંચા વળતરની લાલચ આપીને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા આકર્ષ્યા હતા. ત્યારબાદ એક દિવસ અચાનક જ કંપનીઓને તાળું મારીને તેઓ ગાયબ થઈ ગયા હતા. લોકોનું 61 કરોડો કરતાં વધુ રૂપિયાનું ફુલેકુ ફેરવ્યું હતુંવળી તેઓએ પોતાની રજીસ્ટર કંપનીઓ UKમાં બતાવી હતી. તેઓએ લોકોનું 61 કરોડો કરતાં વધુ રૂપિયાનું ફુલેકુ ફેરવ્યું હતું. આ પૈકી એક રૂપાળ શૈલેષ ભટ્ટે કંપનીના હોદ્દેદારોનું અપરણ કરીને 2091 બીટકોઈન અને 11,000 લીટકોઇન પડાવ્યા આવ્યા હતા. જેની તત્કાલીન કુલ કિંમત 152 કરોડની આસપાસ હતી. EDની તપાસમાં અત્યાર સુધીમાં 2000 કરોડથી વધુની મિલકતો, રોકડ, રોકાણ, ક્રિપ્ટો કરન્સી વગેરે મળી આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:09 pm

એચ.બી.કાપડીયા સ્કૂલમાં સૌથી મોટો કેરિયર ફેર યોજાશે:65 કરતા વધુ યુનિ. જોડાશે, 5 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓને AI સહિતના કોર્સ વિશે માહિતી અપાશે

મેમનગર વિસ્તારમાં આવેલી એચ.બી.કાપડિયા ન્યૂ હાઈસ્કૂલમાં કેરિયર એજ્યુકેશન ફેર 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે શહેરના સૌથી મોટા કારકિર્દી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. HBK કનેક્ટ એજ્યુકેશન ફેરમાં અંદાજે 65 જેટલી આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્યની યુનિવર્સિટીઓ ભાગ લેવાની છે. 65 જેટલી યુનિવર્સિટીઓએ પોતાના અલગ અલગ સ્ટોલ તૈયાર કર્યા છે. કેરિયર એજ્યુકેશનમાં અલગ અલગ શાળાઓના 5 હજાર જેટલા વિદ્યાર્થીઓ પણ ભાગ લેવાના છે. વિદ્યાર્થીઓને વર્તમાન પ્રવાહમાં પોતાની કેરિયર પસંદગીમાં મદદરૂપ થશે. તેમજ વિદ્યાર્થીઓને નવા નવા અભ્યાસક્રમોથી માહિતગાર કરશે. અન્ય કોઈ વિદ્યાર્થીઓને પણ આવતીકાલે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કારકિર્દીને લઈને માર્ગદર્શન મેળવી શકશે. છેલ્લા ત્રણ વર્ષથી કેરિયર એજ્યુકેશન ફેરનું આયોજનએચ.બી. કાપડિયા સ્કૂલના ગુજરાતી માધ્યમના પ્રિન્સીપાલ રૂપલબેને જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી કેરિયર એજ્યુકેશન ફેરનું આયોજન કરી રહ્યા છીએ. આ વર્ષે 65 કરતા વધારે ખ્યાતનામ યુનિવર્સિટીઓ ભાગ લઈ રહી છે. વિદ્યાર્થીઓને કેરિયરનું માર્ગદર્શન પૂરતું મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે. ધોરણ 12 પછી શું કરવું તેને લઈને વિદ્યાર્થીઓને વાલીઓ મૂંઝવણમાં હોય છે. જેથી કેરિયર નક્કી કરવાની પળમાં પૂરતું માર્ગદર્શન મળી રહે તેઓ અમારો આશ્રય છે. વિદ્યાર્થીઓ AI સહિતના નવા કોર્સથી વાકેફ થાય તેવો પ્રયાસએચ.બી. કાપડિયા સ્કૂલના અંગ્રેજી માધ્યમના પ્રિન્સીપાલ ઇન્દ્રાણીબેન બેનર્જીએ જણાવ્યું હતું કે, સતત ચાર વર્ષથી એજ્યુકેશન કેરિયર ફેરનું આયોજન કરીએ છીએ. દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. દરરોજ નવા નવા કોર્સ આવી રહ્યા છે. જેથી વિદ્યાર્થીઓ નવા કોર્સથી વાકેફ થાય તેવો અમારો પ્રયાસ છે. સાચી દિશા વિદ્યાર્થીઓ મળી તે માટેનું પ્લેટફોર્મ અમે તૈયાર કરીએ છીએ. અત્યારે AIની સૌથી વધુ ડિમાન્ડ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને એવું લાગે છે કે, AI સૌથી વધુ કામ આવી શકે છે. તેમજ કોમ્પ્યુટર સાયન્સ સહિતના વિશેની ડિમાન્ડ આજે પણ જોવા મળી રહે છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:03 pm

હળવદ લૂંટ કેસમાં બે આરોપી ઝડપાયા:વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટ કરી હતી, ₹5.11 લાખ રોકડ, કાર, બાઈક જપ્ત

હળવદમાં વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટીને 6.90 લાખ રૂપિયાની લૂંટ ચલાવવાના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે લૂંટમાં ગયેલી રોકડમાંથી 5.11 લાખ રૂપિયા, લૂંટના પૈસાથી ખરીદેલી કાર અને ગુનામાં વપરાયેલ ચોરીનું બાઈક જપ્ત કર્યું છે. ગત 2જી તારીખે સાંજે 7:30 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. હળવદના રાણેકપર રોડ પર આનંદ બંગલોઝ ખાતે રહેતા અને યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે વેપાર કરતા રજનીકાંત ભીખાભાઈ દેથરીયા (ઉં.વ. 44) યાર્ડમાંથી 6.90 લાખ રૂપિયા રોકડા લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે આનંદ બંગલોઝ નજીક બે અજાણ્યા બુકાનીધારી શખ્સોએ તેમને આંતરીને આંખમાં મરચાની ભૂકી છાંટી હતી. મરચાની ભૂકી છાંટીને આરોપીઓએ રજનીકાંત દેથરીયાના બાઈક (નંબર GJ 36 AM 6142) પર રાખેલા રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી અને નાસી છૂટ્યા હતા. આ અંગે વેપારીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. હળવદ પીઆઇ આર.ટી. વ્યાસ અને તેમની ટીમે આ ગુનામાં સંડોવાયેલા રાહુલ ઉર્ફે પીંગરો વિજયભાઈ હળવદિયા (રહે. વીસીપરા, મોરબી) અને કિશન મોતીભાઈ પરસાડીયા (રહે. દલવાડી સર્કલ પાસે, મોરબી)ની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલી રોકડ પૈકી 5,11,800 રૂપિયા, લૂંટના પૈસાથી ખરીદેલી આઈ 20 કાર (નંબર GJ 27 AH 2440) અને ગુનાને અંજામ આપવા માટે ઉપયોગમાં લેવાયેલ ચોરીનું બાઈક (નંબર GJ 6 AR 2534) કબજે કર્યું છે. પોલીસે પકડાયેલા બંને આરોપીઓના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:59 pm

સુરેન્દ્રનગરમાં 19 ડિસેમ્બરે જિલ્લા સ્તરીય વાઇબ્રન્ટ સમિટ:આયોજન માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

સુરેન્દ્રનગરમાં આગામી 19 ડિસેમ્બરના રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે જિલ્લા સ્તરીય વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે એક બેઠક યોજાઈ હતી. આ સમિટમાં B2B (બિઝનેસ ટુ બિઝનેસ) અને B2G (બિઝનેસ ટુ ગવર્નમેન્ટ) જેવી મહત્વની બેઠકો, સેમિનારો અને પ્રદર્શન યોજાશે. જેમાં એગ્રો, ફૂડ પ્રોસેસિંગ, ઓટો કન્પોનન્ટ, સિરામિક અને ટેક્સટાઇલ સહિતના મહત્વના ક્ષેત્રોમાં રોકાણ સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવશે.જિલ્લા કલેકટરે બેઠકમાં જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સીસ એ રાજ્ય સરકારનો મહત્વનો કાર્યક્રમ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાનાર આ વાઇબ્રન્ટ સમિટમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે આનુષાંગિક તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. બેઠકમાં કાર્યક્રમના સમગ્ર સંચાલન, વિવિધ થીમ આધારિત સેમિનાર માટેની વ્યવસ્થા, પ્રદર્શન સંબંધિત ગોઠવણો, ટ્રાફિક નિયમન, પોલીસ બંદોબસ્ત, સુરક્ષા, કાર્યક્રમ સ્થળ અને શહેરના મુખ્ય માર્ગો પર સ્વચ્છતા, આરોગ્ય વિષયક સુવિધાઓ અને વીજ પુરવઠો અવિરત જળવાઈ રહે તે માટેની કાર્યવાહી સહિત વિવિધ બાબતો અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રોકાણ આકર્ષવા અને વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવામાં આવે છે. આ વર્ષે સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સીસનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે 08-09 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે કચ્છ સૌરાષ્ટ્ર પ્રદેશની વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સ યોજાશે.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર ઓઝા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર પારેજીયા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને વિવિધ ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:57 pm

ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બિનવારસી બેગ મળતા ખળભળાટ:બ્લુ બેગનો કોઈ વારસ ન દેખાતા ડોગ સ્ક્વોડથી તપાસ કરી, CCTVથી બેગના માલિક સુધી પહોંચ્યા, કઈ શંકાસ્પદ ન મળ્યું

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે એક બિનવારસી બેગ મળી આવતા થોડા સમય માટે ખળભળાટ મચી ગયો હતો. જોકે, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) દ્વારા તાત્કાલિક અને સજાગતાપૂર્વક પગલાં લેવામાં આવતા, ગણતરીના કલાકોમાં જ પરિસ્થિતિ સામાન્ય બની હતી અને એરપોર્ટ પર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. બિનવારસી બેગની જાણ થતાં જ CISFના જવાનો તુરંત એક્શનમાંએરપોર્ટના ટર્મિનલ વિસ્તારમાં એક શંકાસ્પદ બિનવારસી બેગની જાણ થતાં જ CISFના જવાનો તુરંત એક્શનમાં આવ્યા હતા. કોઈપણ પ્રકારના જોખમને ટાળવા માટે, CISF દ્વારા તાત્કાલિક અસરથી બેગની આસપાસના સમગ્ર એરિયાને કોર્ડન કરવામાં આવ્યો હતો. આ સુરક્ષા ઘેરાબંધીના કારણે બેગની નજીકથી કોઈપણ વ્યક્તિને પસાર થવા દેવામાં આવી નહોતી. સુરક્ષાની ખાતરી કરવા માટે, CISFની ટીમે તાત્કાલિક ડોગ સ્ક્વોડને સ્થળ પર બોલાવી હતી. ડોગ સ્ક્વોડ દ્વારા બેગનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં બેગની અંદરથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે વિસ્ફોટક વસ્તુ મળી આવી નહોતી, પરંતુ સુરક્ષા પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારવામાં આવી હતી. બેગની આંતરિક તપાસમાં કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ ન જણાઈ આ બેગ કોણ છોડી ગયું છે, તે જાણવા માટે CISF દ્વારા એરપોર્ટ પર લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે, સુરક્ષાકર્મીઓએ ગણતરીના સમયમાં જ બેગના વારસદાર યુવકને શોધી કાઢ્યો હતો. યુવક મળી આવ્યા બાદ, CISF દ્વારા તેના ડોક્યુમેન્ટ સહિતની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. યુવકના નિવેદન અને બેગની આંતરિક તપાસમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ જણાઈ નહોતી. બેગમાં સામાન્ય સામાન અને અંગત વસ્તુઓ મળી આવી હતી. બિનવારસી બેગનો મામલો માત્ર એક ભૂલભરેલો કિસ્સો સાબિત થયોતમામ સુરક્ષા અને ખરાઈની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, CISF દ્વારા યુવકને તેની બેગ સલામત રીતે હેન્ડઓવર કરી દેવામાં આવી હતી. બિનવારસી બેગનો મામલો માત્ર એક ભૂલભરેલો કિસ્સો હોવાનું સાબિત થતાં, એરપોર્ટ પર ફરજ બજાવતા તમામ સ્ટાફ અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. CISFની આ સમયસર અને પ્રોફેશનલ કામગીરીએ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થાની સજાગતા સાબિત કરી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:55 pm

પોરબંદરમાં મહિલા સ્વરોજગાર-લોન મેળો યોજાયો:રોજગાર, લોન યોજનાઓ અને સ્વરોજગાર અંગે માર્ગદર્શન અપાયું

પોરબંદરમાં 5 ડિસેમ્બર, 2025ના રોજ તન્ના હોલ ખાતે મહિલા સ્વરોજગાર-લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ કચેરી, જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા સંયુક્ત રીતે આ મેળાનું આયોજન કરાયું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને રોજગાર, લોન યોજનાઓ અને સ્વરોજગારની તકો અંગે માર્ગદર્શન આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન, જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીએ મહિલાઓ માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સ્વરોજગારની તકો વિશે વિગતવાર માહિતી આપી હતી. એફએલસી લીડ બેન્કના જાહિદ ખોખરે લોન યોજનાઓ, બેન્કિંગ પ્રક્રિયા અને ઑનલાઇન છેતરપિંડીથી બચવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મેળામાં વાજપાઈ બેન્કેબલ યોજના, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની વિવિધ યોજનાઓ, આઈટીઆઈ કોર્સિસ અને સીઈડી (CED) દ્વારા અપાતા માર્ગદર્શન વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત, “વ્હાલી દીકરી” યોજના સહિત અન્ય કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમ અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરતી મેળાના ભાગરૂપે, લગભગ દસ જેટલી કંપનીઓએ મહિલા ઉમેદવારોના ઇન્ટરવ્યુ લઈને પ્રાથમિક પસંદગી પ્રક્રિયા હાથ ધરી હતી. આ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:53 pm

ભુજના માધાપરમાં પાર્ક કરેલી બે કાર સળગી:લગ્નમાં જમવા ગયેલા મહેમાનોની કાર ભડકે બળી, ફાયર વિભાગે માંડ માંડ કાબૂ મેળવ્યો

ભુજ શહેર નજીક આવેલા માધાપર ગામમાં આજે બપોરે એક ઘટના બની હતી. યક્ષ મંદિર સામેના ખુલ્લા મેદાનમાં પાર્ક કરેલી બે કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટના શુક્રવારે બપોરે લગભગ 1.30 વાગ્યાના અરસામાં બની હતી. આ કારો ભુજના રહેવાસી રશ્મિન મનસુખ દોશી અને સુનિલ અરવિંદ ઠક્કરની હતી. તેઓ પોતાની i20 અને મારુતિ સેલેરીઓ કાર પાર્ક કરીને મંદિરમાં આયોજિત લગ્ન પ્રસંગના ભોજન સમારોહમાં જમવા ગયા હતા. બંને કારમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી અને તે બળીને ખાખ થઈ ગઈ હતી. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોની ભારે ભીડ જમા થઈ હતી. માહિતી મળતા જ ભુજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે પાણીનો છંટકાવ કરીને આગને કાબુમાં લીધી હતી. માધાપર પોલીસ દફતરે આ અંગે જાણવાજોગ નોંધ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:51 pm

નવસારીમાં MPના બે ઈસમો દેશી પિસ્તોલ સાથે ઝડપાયા.:₹23,000નો મુદ્દામાલ જપ્ત, આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી

નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. ટીમે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મેગ્ઝીનવાળી દેશી બનાવટની પિસ્તોલ સાથે મધ્યપ્રદેશના બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ ₹23,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.વાય. ચિત્તે અને તેમના સ્ટાફને મળેલી ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. તારીખ 04/12/2025ના રોજ A.S.I મોહમદફૈસલ મકબુલહુસેન અને A.S.I. નઇમખાન ડોસખાનને સંયુક્ત રીતે મળેલી માહિતી પરથી ટીમે વોચ ગોઠવી હતી. આ વોચ નવસારી ગ્રીડ ઓવરબ્રિજ સામે, સરોવર કાઠિયાવાડી હોટલની પાર્કિંગ સામેના જાહેર રોડ પર રાખવામાં આવી હતી. પોલીસે વોચ દરમિયાન સુરતાનભાઈ ફેન્દરીયા લોહારિયા (ઉ.વ. 45) અને નમરસિંહ રાવળિયા સસ્તિયા (ઉ.વ. 42) ને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જામલી ગામના રહેવાસી છે. તેમણે છકતલા, સોંઢવા, જિ. અલીરાજપુરના અજાણ્યા બે ઈસમો પાસેથી કારતૂસ વગરની દેશી બનાવટની મેગ્ઝીનવાળી પિસ્તોલ ખરીદી હતી. આરોપીઓ આ પિસ્તોલ ઊંચા ભાવે સારો ગ્રાહક મળી જાય તો વધુ પૈસા કમાવવાની લાલચમાં નવસારી વેચવા લાવ્યા હતા. આરોપી સુરતાનભાઈએ આ પિસ્તોલને વાદળી, કોફી અને કેસરી કલરની ડિઝાઇનવાળી કાપડની થેલીમાં ઓઢવાના ધાબળા અને મફલરની વચ્ચે છુપાવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી કોઈપણ જાતના લાયસન્સ કે પરવાના વગરની દેશી હાથ બનાવટની મેગ્ઝીનવાળી પિસ્તોલ (કિંમત ₹22,000), બે મોબાઈલ ફોન (કિંમત ₹1,000) સહિત કુલ ₹23,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. A.S.I મોહમદફૈસલ મકબુલહુસેને (S.O.G. નવસારી) આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:48 pm

નવસારી મહાનગરપાલિકા બાકી વેરા વસૂલવા કાર્યવાહી:ડિફોલ્ટરોની મિલકતો સીલ, પાણી-ડ્રેનેજ સેવા પણ કપાઈ શકે

નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગે બાકી રહેલા વેરાની વસૂલાત માટે સઘન કાર્યવાહી શરૂ કરી છે. આ અંતર્ગત, મહાનગરપાલિકાની હદમાં આવેલા વાણિજ્યિક અને રહેણાંક વિસ્તારોના બાકીદારો પાસેથી તાત્કાલિક વેરાની રકમ વસૂલ કરવામાં આવી રહી છે. વેરાની રકમ ન ચૂકવનાર મિલકત માલિકો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં કેટલીક મિલકતો પર તાળાં મારવાની કાર્યવાહી કરવામાં આવી છે. ભવિષ્યમાં, આવા બાકીદારોની જળ પુરવઠા અને ડ્રેનેજ જેવી મૂળભૂત સેવાઓ પણ બંધ કરવામાં આવી શકે છે. મહાનગરપાલિકાએ તમામ નાગરિકોને સૂચના આપી છે કે જેમનો કોઈ પણ પ્રકારનો વેરો બાકી હોય, તેઓ તાત્કાલિક સંબંધિત વેરા કાર્યાલયનો સંપર્ક કરીને રકમ ચૂકવી દે. આ પગલું નાગરિકોના હિતમાં છે, જેથી તેમને કોઈ અસુવિધા કે કાર્યવાહીનો સામનો ન કરવો પડે. શહેરના વિકાસ અને સુવિધાઓના સતત સંચાલન માટે સમયસર વેરાની ચુકવણી અત્યંત આવશ્યક છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:47 pm

ત્રણ દિવસ જુદી જુદી સ્પર્ધાઓ યોજાશે:આજથી સુમિટોમો એકસેલ એકસપ્રેશન 2024 નો શિશુવિહાર સંસ્થા પ્રારંભ

સુમિટોમો કેમીકલ ઇન્ડિયા લિમિટેડ ભાવનગર દ્વારા શિશુવિહાર સંસ્થા ખાતે સુમિટોમો એકસેલ એકસપ્રેશન 2025 અંતર્ગત ત્રણ દિવસ જુદી જુદી સ્પર્ધાઓ યોજાશે, જેમાં આજથી પ્રારંભ થયો હતો, સુમિટોમો એકસેલ એકસપ્રેશન ના સતત 27 વર્ષથી આયોજન કઈ રહ્યું છે ત્રણ દિવસ દરમ્યાન જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજરોજ પ્રાથમિક વિભાગની સ્પર્ધાઓ યોજાયેલ હતી, જેમાં તત્કાલ ચિત્ર સ્પર્ધામાં 198 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ત્યારબાદ સામાન્ય જ્ઞાન સ્પર્ધામાં 178 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને છેલ્લે નિબંધ સ્પર્ધા યોજાઈ હતી જેમાં 195 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, આમ પ્રાથમિક વિભાગની સ્પર્ધાઓમાં કુલ 571 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આવતીકાને તા.6 ના રોજ ફિલ્મ ગીત, તત્કાલ ચિત્ર, તથા વકૃત્વ સ્પર્ધા યોજાશે અને બપોર બાદ સામાન્ય જ્ઞાન લોક નૃત્ય ફિલ્મ ગીત તથા સમાચાર વાંચન યોજાશે, લોકનૃત્ય, સામાન્યજ્ઞાન સ્પર્ધા આમ આવતીકાલે પણ 576 વિદ્યાર્થીઓ ભાગ લેશે, તા.7 ના રોજ લોકગીત, સ્પર્ધા સાયન્સ અને ટેકનોલોજી ગ્રુપ સોંગ યોજાશે, ત્યારબાદ બપોરે ના લોકગીત સ્પર્ધા સમાચાર વાંચન સ્પર્ધાઓ યોજાશે. આમ ત્રણ દિવસ દરમિયાન 1500 થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સંજયભાઈ શર્મા એજીએમનું સતત માર્ગદર્શન મળેલ અને તેમની રાહબરી નીચે પ્રોજેકટ કો-ઓર્ડીનેટર્સ વનરાજસિંહ ચાવડા તેમજ સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:42 pm

6 દિવસથી મંદબુદ્ધિનો 14 વર્ષીય બાળક ગુમ.:કેશોદના બાલાગામમાંથી 14 વર્ષનો મંદબુદ્ધિનો બાળક ગુમ થતાં પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી,ડોગ સ્ક્વોડ અને સોશિયલ મીડિયાની મદદ, પોસ્ટર લગાવી સઘન તપાસ.

કેશોદ તાલુકાના બાલાગામમાંથી એક 14 વર્ષીય મંદબુદ્ધિના બાળક ગુમ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બાળક છેલ્લા છ દિવસથી લાપતા છે અને તેના પિતાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. કેશોદ તાલુકામાં એસપી તરીકે ફરજ બજાવતા બી.સી. ઠક્કર જણાવ્યું હતું કે, કેશોદ તાલુકાના બાલાગામે રહેતા એક પરિવારનો 14 વર્ષનો બાળક જે મંદબુદ્ધિનો છે, તે ગત 30 નવેમ્બરના રોજ પોતાના ઘરેથી ગુમ થયો હતો.બાળક ગુમ થયાની જાણ સૌપ્રથમ ગામના જ એક રિક્ષાવાળાએ બાળકના પરિવારને કરી હતી. આ મામલે બાળકના પિતાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં કોઈ અજાણ્યા ઇસમ દ્વારા તેના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને તાત્કાલિક ધોરણે આગળની તપાસ હાથ ધરી છે. ગુમ થયેલા મંદબુદ્ધિના બાળકને વહેલી તકે શોધી કાઢવા માટે કેશોદ પોલીસે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. પોલીસે બનાવની જગ્યાનું પંચનામું કર્યું છે અને આસપાસના લોકોના નિવેદન પણ નોંધ્યા છે.ગુમ થયેલા બાળકના પરિવારના તમામ સગા-સંબંધીઓ અને નજીકના વ્યક્તિઓની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. બાળકને શોધવા માટે ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે, જેણે ગુમ થયાના સંભવિત માર્ગોની તપાસ કરી છે. પોલીસે બાળક ગુમ થયા બાબતે પોસ્ટર પણ લગાડ્યા છે, તેમજ સોશિયલ મીડિયાના અનેક વોટ્સએપ ગ્રુપમાં પણ બાળક ગુમ થયાની જાણ કરીને જનતા પાસે મદદની અપીલ કરવામાં આવી છે. આ બાળક ગુમ થયા મામલે બાલાગામ આસપાસના તમામ સરપંચોને પણ જાણ કરવામાં આવી છે, જેથી ગ્રામ્ય સ્તરે પણ કોઈ માહિતી હોય તો પોલીસને મળી શકે એસપી બી.સી. ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ દ્વારા આ મંદબુદ્ધિના બાળકને શોધી કાઢવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:39 pm

યુવકને 20 ફૂટ દૂર ફંગોળી બાઈકચાલક 50 ફૂટ ઢસડાયો, CCTV:ડભોઈ પાસે SOU રોડ પર પૂરપાટ બાઈકચાલકે રાહદારીને ઉડાવ્યો, 3 લોકો ગંભીર ઈજાગ્રસ્ત

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નાંદોદી ભાગોળ નજીક 4 ડિસેમ્બરની રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં રસ્તો ક્રોસ કરતાં યુવકને પૂરપાટ ઝડપે આવતા બાઈક ચાલકે જોરદાર ટક્કર મારી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. બાઈકચાલક અને રાહદારી સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, બાઈકચાલકે યુવક 20 ફૂટ દૂર ઉડાવ્યો હતો અને જ્યારે પોતે 50 ફૂટ સુધી પણ ઢસડાયો હતો. આ દરમિયાન બાઈક રોડ પર ઢસડાતા તણખા પણ ઉડતા જોવા મળ્યા હતા. પૂરપાટ ઝડપે આવતા બાઈકચાલકે યુવકને ફંગોળ્યોમળતી માહિતી અનુસાર વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) રોડ પર ડભોઈ પાસે ગત રાત્રિના સમયે બાઈકચાલક પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક એક યુવક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. બાઈકચાલકે તેને જોરદાર ટક્કર મારતા યુવક ઉછળીને રોડ પર પટકાયો હતો. આ સાથે ચાલકે બાઈક પરથી કાબુ ગુમાવતા તે પણ રોડ પર પટકાયો હતો. આ દરમિયાન બાઈક રોડ પર ઢસડાતા તણખા પણ ઉડ્યા હતા. સ્થાનિકોએ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યાજોકે, બાઈકચાલક આ અકસ્માત પહેલાં પણ એક વ્યક્તિને ટક્કર મારીને આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ તમામ ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરીઘટનાની જાણ થતાં જ ડભોઈ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચીને અકસ્માતનો કેસ નોંધી કાર્યવાહી શરૂ કરી છે અને CCTV ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પૂરપાટ ઝડપે વાહન ચલાવીને લોકોના જીવ જોખમમાં મૂક્યાઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર અને જિલ્લામાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે અને અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. તેમ છતાં લોકો પૂરપાટ ઝડપે વાહન ચલાવીને પોતાના અને અન્ય લોકોના જીવ જોખમમાં મૂકે છે. 5 નવેમ્બર: ગોરવા વિસ્તારમાં મોડી રાત્રે યુવકે પરિવાર પર ટેમ્પો ચડાવીને કચડ્યા, 4ને ઈજા વડોદરાના ગોરવા વિસ્તારમાં મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ચાલકે શ્રમજીવી પરિવારના ચાર સભ્યો પર ટેમ્પો ચઢાવી દેવાતા વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં પરિવારના ચારેય સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર... 4 ડિસેમ્બર: વડોદરા મામલતદાર કચેરી પાસેનો કટ બન્યો 'ડેથ ટ્રેપ', CCTVઅકસ્માત તો આપણે ઘણા જોયા હશે પરંતુ, એવી સ્થિતિ ભાગ્યે જ સર્જાઈ હશે કે, એક જ જગ્યા પર એક જ પેટર્નથી એક કરતા વધુ અકસ્માત સર્જાયા હોય અને તે તમામ અકસ્માત CCTVમાં કેદ થયા હોય. વડોદરા શહેરના સમા મામલતદાર કચેરી પાસેનો ખતરનાક વળાંક ફરી એકવાર અકસ્માતનું કેન્દ્ર બન્યો છે. 4 ડિસેમ્બરની સવારે ઇકો કાર ચાલકે નિયંત્રણ ગુમાવતાં અકસ્માત સર્જાયો, જેના CCTV પણ સામે આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર...

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:35 pm

આડોડિયાવાસ સ્થિત રહેણાંકી મકાનમાં દેશી દારૂની ગેરકાયદેસર ઘમઘમતી ભઠ્ઠી ઝડપાઈ:લાખ્ખોનો મુદ્દામાલ જપ્ત, એક આરોપીની ધરપકડ, પતિ-પત્નિ ફરાર

ભાવનગર એલ.સી.બી. સ્ટાફ દ્વારા મોડી રાત્રે શહેરના આડોડિયાવાસમાં ચાલતી દેશી દારૂની ઘમઘમતી ભઠ્ઠી પર રેઇટ કરી હતી, બાતમીના આધારે ઘોઘા રોડ પોલીસ મથક વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં રેઇડ કરતાં, ઇલેક્ટ્રિક સગડીની મદદથી ચાલતી 4 દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ચાલુ હાલતમાં ઝડપાઈ હતી. પોલીસે સ્થળ પરથી રૂ.1.47 લાખથી વધુનો દેશી-વિદેશી દારૂ, દારૂ બનાવવાનો આથો અને અન્ય સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, ​આ રેઇડ દરમિયાન મકાન માલિકો સરજુ અને નીતા રાઠોડ દ્વારા પગાર પર દારૂ ઉતારવા રખાયેલા પરપ્રાંતિય કારીગર ક્રિષ્ના કાલીચરન તોમરની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે મકાન માલિક પતિ-પત્નિ સહિત ત્રણ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે દેશી દારૂની ઘમ ઘમતી ભઠ્ઠી ઝડપાઈ ​બાતમીવાળી જગ્યાએ રાત્રે રેઇડ કરતાં, મકાનમાંથી ક્રિષ્ના કાલીચરન તોમર ઉ.વ.24, રહે. નીતાબેન રાઠોડના મકાનમાં, મૂળ ઉત્તરપ્રદેશ હાજર મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં, એક રૂમમાં ઇલેક્ટ્રિક સગડીની મદદથી ચાલતી 4 દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ મળી આવી હતી, જ્યાં કાચની શીશીઓમાં દારૂ ભરવાનું કામ ચાલુ હતું. આ ઉપરાંત, આશરે 200 લિટરનું એક બેરલ દારૂ બનાવવામાં વપરાતા આથાથી ભરેલું જોવામાં આવ્યું હતું. દેશી અને ઈંગ્લીશ દારૂ મળી 1.40 લાખનો મુદ્દામાલ ​હાજર મળી આવેલ ક્રિષ્ના તોમર પાસે દારૂ બનાવવાનો કે રાખવાનો કોઈ પાસ-પરમિટ ન હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મકાનમાંથી વિદેશી દારૂ, દેશી દારૂ અને આથા સહિતની મોટી માત્રામાં ચીજવસ્તુઓમાં ​વિદેશી દારૂ ઇંગ્લિશ 750 MLની બેગપાઈપર વ્હિસ્કીની 12 બોટલ અને 8 PM વ્હિસ્કીની 40 બોટલ, કુલ ૫૨ બોટલ કિ.રૂ.18,000, ​દેશી દારૂ જુદા-જુદા કેન અને કોથળીઓમાં ભરેલો કુલ 229 લિટર દેશી દારૂ કિ.રૂ.45,800, ​દારૂ બનાવવાનો આથો 200 લિટર અને 100 લિટરના બેરલો તેમજ નાના ડબ્બાઓમાં ભરેલો કુલ 3225 લિટર આથો કિ.રૂ.80,820, પ્લાસ્ટિક/મેટલના નાના-મોટા 25 બેરલ/ડબ્બા કિ.રૂ.3,500 સહીત કુલ રૂ.1,47,925 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, દારૂની ભઠ્ઠીઓ પરના બેરલો અને આથો સ્થળ પર જ ઢોળી, તોડી, ફોડી નાશ કરવામાં આવ્યો હતો. દેશી દારૂ ઉતરાવા પગાર પર ઈસમને રાખ્યો હતો ​પકડાયેલ આરોપી ક્રિષ્ના તોમરે કબૂલ્યું કે, તે નીતા અને સરજુભાઈ રાઠોડના ઘરે રહીને દારૂ ઉતારવાનું કામ કરતો હતો અને તેના બદલામાં તેને રૂ.12,000 નો પગાર પર રાખ્યો હતો, ​પોલીસે હાજર મળી આવેલ આરોપી ક્રિષ્ના કાલીચરન તોમરની ધરપકડ કરી હતી. જ્યારે મકાન માલિકો સરજુ વજુભાઈ રાઠોડ અને નીતા સરજુભાઇ રાઠોડ જેઓ ઘટના સમયે હાજર નહોતા સહિત ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટની કલમ 65 એ, બી, સી, ડી, ઈ, એફ, 81, 116 બી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:16 pm

રાજકોટના આકાશમાં ગૌરવનો ગુંજારવ:સૂર્યકિરણ એર-શોની સાથે સૌપ્રથમવાર 'આકાશ ગંગા' સ્કાયડાઈવિંગ ટીમનું વિશેષ આકર્ષણ, જવાનો 8000 ફૂટ ઊંચાઈથી પેરાશુટ સાથે આકાશમાં દિલધડક જમ્પ લગાવશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારતીય વાયુસેનાના સહયોગથી શહેરને એક ઐતિહાસિક અને રોમાંચક કાર્યક્રમની યજમાની કરવાનો ગૌરવ પ્રાપ્ત થઈ રહ્યો છે. જેમાં ભારતીય વાયુસેનાની વિશ્વવિખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા યોજાનારા ભવ્ય એર શો સાથે, પ્રથમ વખત શહેરના નાગરિકોને પ્રતિષ્ઠિત એર ફોર્સ બેન્ડનું આકર્ષક લાઇવ પરફોર્મન્સ માણવાની પણ તક મળશે. આ ઉપરાંત, આ કાર્યક્રમમાં વધુ એક રોમાંચક આકર્ષણનો ઉમેરો થયો છે. રવિવારના રોજ યોજાનાર આ ભવ્ય કાર્યક્રમમાં ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમનું રોમાંચક લાઇવ પ્રદર્શન પણ થશે. આ ટીમના જાંબાઝ જવાનો ઉડતા એરક્રાફ્ટમાંથી આશરે 8000 ફૂટની ઊંચાઈએથી પેરાશુટ સાથે આકાશમાં દિલધડક જમ્પ લગાવશે, જે દર્શકો માટે અવિસ્મરણીય અનુભવ બની રહેશે. અટલ સરોવર આસપાસના સ્માર્ટ સીટીના વિસ્તારમાં રવિવાર 7 ડિસેમ્બરે સવારે 10 વાગ્યે આ કાર્યક્રમ યોજાનાર છે. મુખ્ય કાર્યક્રમની પૂર્વ તૈયારી રૂપે તા. 06-12-2025ને શનિવારના સવારે 10:00 કલાકે સૂર્યકિરણ એર-શોનું ફૂલ ડ્રેસ રિહર્સલ પણ યોજાનાર છે. આ કાર્યક્રમનું આયોજન શહેરના નાગરિકો માટે સંપૂર્ણપણે વિનામૂલ્યે રાખવામાં આવ્યું છે. જેમાં એર-શો અને શસ્ત્ર પ્રદર્શન નિહાળવા માટે કોઈ ટિકિટ કે પાસની આવશ્યકતા નથી. શનિવારના રોજ યોજાનારા ફૂલ ડ્રેસ રિહર્સલમાં સવારે 10:00 કલાકે વેપન ડિસ્પ્લેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ એરફોર્સ બેન્ડના પરફોર્મન્સ દ્વારા સ્વાગત કરાશે. બાદમાં C-295 એરક્રાફ્ટ ફ્લાયપાસ થશે અને આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમ દ્વારા આકાશમાંથી જમ્પ કરી પરફોર્મન્સ કરવામાં આવશે. જમ્પ કરેલા જવાનોને હેલિકોપ્ટર MI-17V5 દ્વારા વિંગસિંગ ઓપરેશન કરીને એરલિફ્ટ કરવામાં આવશે. ત્યારબાદ એરફોર્સ બેન્ડ પરફોર્મન્સ કરશે અને અંતે આકાશમાં ભવ્ય સૂર્યકિરણ એર-શો યોજાશે. આ વિશાળ કાર્યક્રમો રાજકોટના આકાશ અને ધરતી બંનેને દેશપ્રેમ, ગૌરવ અને સંગીતની સુંદરતાથી રંગીને શહેર માટે ઐતિહાસિક ક્ષણો સર્જશે. મુખ્ય કાર્યક્રમની વિશેષતાઓમાં ભારતીય વાયુસેનાની વિશ્વપ્રસિદ્ધ 'Suryakiran Aerobatic Team' આકાશમાં તેમના શૌર્ય, ચોકસાઈ અને તાલમેલના અનોખા કૌશલ્યનું પ્રદર્શન કરશે. આકાશમાં બનતી સુંદર રચનાઓ, ગતિ, ઝડપ અને પાયલોટ્સની કુશળતા નાગરિકો માટે રોમાંચક દૃશ્ય સર્જશે. એડ્રેનાલિન ભરેલા લૂપ્સ, બ્રેક મેન્યુવર્સ, વિંગ ફોર્મેશન્સ અને હાઇ-સ્પીડ પાસેસ એ કાર્યક્રમનાં મુખ્ય આકર્ષણોમાં રહેશે. આ ઉપરાંત, પ્રતિષ્ઠિત એર ફોર્સ બેન્ડ દ્વારા દેશભક્તિ ગીતો, પ્રખ્યાત મિલિટરી બેન્ડ ટ્યૂન્સ, આધુનિક સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટલ્સ અને વિશેષ વાયુસેના થીમ મ્યુઝિકના મુખ્ય વિભાગો રજૂ કરવામાં આવશે. રાજકોટ શહેર માટે ગૌરવનો વધુ એક ક્ષણ ઉમેરાતા તા. 06 અને 07 ડિસેમ્બરના રોજ ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમ પોતાના આંખને ચમકાવી દે તેવા પ્રદર્શન સાથે હાજર રહેશે. આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમ દેશ-વિદેશમાં અનેક વાર પોતાની કૌશલ્યપૂર્ણ હવાઈ કળાઓ માટે ઓળખાય છે. ટીમના પેરાટ્રૂપર્સ આકાશમાંથી ઝડપભેર ઝંપલાવી અનોખા ફોર્મેશન, રંગીન સ્મોક ટ્રેઈલ્સ અને અત્યંત દિલધડક સ્ટન્ટ્સ રજૂ કરશે. આ કાર્યક્રમ દરમિયાન દર્શકોને દેશના વીર જવાનોની તૈયારી, શિસ્ત અને સાહસનો જીવંત અનુભવ થશે. ત્યારબાદ જમીન પર લેન્ડિંગ કરી ચૂકેલા પેરાટ્રૂપર્સને હેલિકોપ્ટરની મદદથી એર લિફ્ટ કરવામાં આવશે. નાગરિકોને કાર્યક્રમ નિહાળવામાં સરળતા રહે તે માટે રાજકોટ મહાપાલિકા દ્વારા અટલ સરોવર આસપાસના સ્માર્ટ સીટી વિસ્તારમાં વિશેષ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સ્માર્ટ સીટી વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ 17 થી 20 ભવ્ય અને મોટી સ્ક્રીનના માધ્યમથી બહોળી સંખ્યામાં લોકો ઊભા રહીને કે ભારતીય બેઠક કરીને સમગ્ર પરફોર્મન્સ નિહાળી શકશે. એરફોર્સના કમાન્ડો દ્વારા આપવામાં આવતા કમાન્ડને નિહાળવાની સાથે અવકાશમાં થતા ફાઇટર પ્લેનના પરફોર્મન્સ પણ સરળતાથી નિહાળી શકાશે. શહેરીજનો અટલ સરોવરની આસપાસના વિસ્તારમાં ઊભા રહીને અને ભારતીય બેઠક પર ભવ્ય એર-શો અને એર ફોર્સ બેન્ડનું લાઇવ પરફોર્મન્સ નિહાળી શકે તે માટે અટલ સરોવર ફરતે 30 થી વધુ સાઉન્ડ ટાવર સ્ટેન્ડ બાય કરવામાં આવશે. જેના માધ્યમથી અટલ સરોવર ફરતે રહેલા નાગરિકો ભવ્ય એર-શો અને લાઇવ બેન્ડ માણી આનંદ મેળવી શકશે. આ ઉપરાંત, તા. 06 અને 07 ડિસેમ્બર એમ, બે દિવસ સુધી અટલ સરોવરના પાર્કિંગ પ્લોટમાં બપોરના 12 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી એર ફોર્સ સ્ટેટિક ડિસ્પ્લેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એરફોર્સના સાધનો અને શસ્ત્રો નિહાળી શકાશે. આ બે દિવસ દરમિયાન લોકો ભારતીય વાયુસેનાના 'ગરુડ સ્પેશિયલ ફોર્સ' વિશે પણ માહિતી મેળવી શકશે, જેનું ગઠન 2004માં થયું હતું. ગરુડ કમાન્ડોની ટ્રેનિંગ અત્યંત પડકારજનક અને કઠિન હોય છે. આ ફોર્સ હાઇ રિસ્ક મિશન, કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશન, રેસ્ક્યુ મિશન અને કુદરતી આપત્તિમાં રાહત તથા બચાવ કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ગરુડ ફોર્સનું સૂત્ર પ્રહાર સે સુરક્ષા છે. કાર્યક્રમને સુચારુરૂપે પાર પાડવા માટે અટલ સરોવરની આસપાસના વિસ્તારમાં કુલ 7 (A થી G) વ્યુ પોઈન્ટ અને કુલ 8 પાર્કિંગ પ્લોટ (પાર્કિંગ B, C અને D રિઝર્વ પાર્કિંગ તેમજ પાર્કિંગ A, E, F, G, H જનરલ પાર્કિંગ) નક્કી કરવામાં આવેલ છે. સ્માર્ટ સીટી એરિયામાં આવવા માટે મુખ્ય ચાર માર્ગો નક્કી કરવામાં આવ્યા છે: કાલાવડ રોડ તરફથી નવા રીંગ રોડ ઉપર, જામનગર રોડ પરથી નવા રીંગ રોડ ઉપર, રૈયા ચોકડી તરફથી સ્માર્ટ સીટી તરફ અને રામાપીર ચોક પરથી રૈયાધારવાળો રોડ. જાહેર સલામતી માટે લોકોને BRTSના રસ્તા ખાલી રાખવા અપીલ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ નાગરિકોને ભારતીય વાયુસેનાની પરંપરા, શિસ્ત અને પ્રતિષ્ઠાની નજીક લાવવા, યુવાનોમાં રાષ્ટ્રસેવાની ભાવનાને પ્રેરિત કરવા અને દેશભક્તિને નવી ઊંચાઈએ લઈ જતું સાંસ્કૃતિક અને સાહસિક સંયોજન પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવ્યો છે. ઐતિહાસિક ઇવેન્ટ રાજકોટને દેશના નકશા પર નવી ઓળખ આપશે. તો વધુમાં વધુ લોકોને આ ઐતિહાસિક ક્ષણનાં સાક્ષી બનવા રાજકોટ મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:11 pm

'ડ્રાઇવરને ફોન કરું છું, બુટલેગરને નહીં':બુટલેગર સાથેના કથિત સંબંધો પર વાસદાના ધારાસભ્ય અનંત પટેલનો ખુલાસો

વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. થોડા દિવસો પહેલાં પોલીસના 'પટ્ટા ઉતારવા'ના નિવેદન બાદ હવે તેઓ કથિત બુટલેગર સાથેના સંબંધો મુદ્દે ઘેરાયા છે. આ મામલે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પોસ્ટરોએ સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવ્યો છે. ધારાસભ્ય વિરુદ્ધ તેમની બુટલેગર સાથેની સાંઠગાંઠ દર્શાવતા પોસ્ટરો વાયરલ થયા છે. આ પોસ્ટરોમાં વાંસદા પોલીસે પકડેલા ભીનાર ગામના બુટલેગર અભિષેક ઉર્ફે અભલો સાથે અનંત પટેલના કથિત સંબંધો હોવાનો આક્ષેપ કરાયો છે. આ આક્ષેપોને સમર્થન આપતા એક કોલ રેકોર્ડ પણ વાયરલ થયો છે, જેમાં દાવો કરાયો છે કે ધારાસભ્ય અનંત પટેલે છેલ્લા એક મહિનામાં બુટલેગર અભિષેકને 29 વખત ફોન કર્યા હતા. આ ઉપરાંત, બુટલેગર અભિષેક દ્વારા ધારાસભ્ય અનંત પટેલની કાર સાથે પડાવેલો એક ફોટોગ્રાફ પણ વાયરલ થયો છે. આ મામલે અનંત પટેલે ખુલાસો આપતા જણાવ્યું હતું કે, હું મારા ડ્રાઇવરના આવવાનો સમય જાણવા માટે આ ભાઈને ફોન કરું છું, બુટલેગરને નહીં. તેમણે આ પ્રયાસોને ભાજપ IT સેલ દ્વારા તેમને બદનામ કરવાના પ્રયાસો ગણાવ્યા હતા. ધારાસભ્યના 'પોલીસના પટ્ટા ઉતારવા'ના નિવેદન સામે બુટલેગર સાથેના તેમના કથિત સંબંધોના વાયરલ પોસ્ટરોએ ચર્ચા જગાવી છે. વાંસદા ભાજપના મહામંત્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યના ચાવવાના દાંત જુદા અને બતાવવાના દાંત જુદા છે. ડૉ. લોચન શાસ્ત્રીએ પણ ધારાસભ્ય પર પ્રહાર કરતા કહ્યું કે, પોલીસના પટ્ટા છોડાવવાની વાત કરનારા વ્યક્તિ જ બુટલેગર સાથે કનેક્શન ધરાવે છે. વિપક્ષ ભાજપે કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પાસે વાંસદાની જનતાને તાત્કાલિક જવાબ આપવાની માંગ કરી છે. આ પણ વાંચો: 'વાસદાના ધારાસભ્ય બુટલેગરો સાથે કનેક્શન ધરાવે છે':સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 3:58 pm

AAP 7 ડિસેમ્બરે અમરેલીમાં કિસાન મહાપંચાયત યોજશે:ખેડૂતોના ન્યાય અને અધિકાર માટે કાર્યક્રમની જાહેરાત

આમ આદમી પાર્ટી (AAP) દ્વારા 7 ડિસેમ્બરે અમરેલી જિલ્લામાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોના ન્યાય અને અધિકાર માટે યોજાનારી આ મહાપંચાયતની જાહેરાત કરવા માટે આજે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમ અમરેલીના સિટીઝન પાર્ક ખાતે બપોરે ત્રણ વાગ્યે યોજાશે. આ કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્યો ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવા, સુધીર વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ખેડૂત નેતા અને પ્રદેશ મહામંત્રી સાગર રબારી, રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી રાજુ સોલંકી, યુવરાજસિંહ જાડેજા, યુવા પ્રદેશ અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી અને લોકસભા ઇન્ચાર્જ કાંતિ સતાસિયા સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહેશે. અમરેલી જિલ્લાની ટીમ અને કાર્યકર્તાઓ પણ આ કાર્યક્રમમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ખેડૂતોના મુદ્દે મહાપંચાયતો યોજી રહી છે. અમરેલીમાં યોજાનારી આ મહાપંચાયત પહેલાં બોટાદમાં રાજુભાઈ કરપડાએ કડદા પ્રથા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. આ ઘટના બાદ સુદામડા ગામે પણ કિસાન મહાપંચાયત યોજાઈ હતી, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સુદામડા મહાપંચાયત દરમિયાન આમ આદમી પાર્ટીએ તમામ લોકસભા મતવિસ્તારોમાં કિસાન મહાપંચાયત યોજવાનું આહવાન કર્યું હતું. તે અંતર્ગત અમરેલીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોમાં સરકાર વિરુદ્ધ ભારે આક્રોશ છે અને તેઓ સ્વયંભૂ ટ્રેક્ટરો ભરીને મહાપંચાયતમાં જોડાશે. સાવલિયાએ તમામ ખેડૂતોને આ મુહિમમાં જોડાઈને સરકારને જાગૃત કરવા અપીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 3:54 pm

સચિનના સાતવલ્લા બ્રિજ પાસે કચરાના ઢગલામાંથી નવજાતનો મૃતદેહ મળ્યો:બાળકીને તરછોડનાર વાલીની CCTV-હોસ્પિટલના આધારે શોધખોળ શરૂ, સાત દિવસમાં બીજી ઘટના

દેશને આર્થિક ગતિ આપતું સુરત શહેર છેલ્લા એક અઠવાડિયાથી માતૃત્વના અપમાન અને માનવતાના પતનની સૌથી કરુણ ગાથા જોઈ રહ્યું છે. માત્ર સાત દિવસના ગાળામાં શહેરના બે અલગ-અલગ વિસ્તારો ઈચ્છાપુર અને સચિનમાંથી તાજી જન્મેલી બે ફૂલ જેવી બાળકીઓને નિષ્ઠુરતાપૂર્વક ત્યજી દેવામાં આવી છે. આ બંને માસૂમ બાળકીઓ કડકડતી ઠંડીમાં ત્યજાયેલી મળી હતી. કમનસીબે બંનેના મોત નીપજ્યા છે. સાતવલ્લા બ્રિજ પાસે કચરાના ઢગલામાંથી બાળકીનો મૃતદેહ મળ્યો તાજેતરની અને વધુ હૃદયદ્રાવક ઘટના સચિન વિસ્તારના સાતવલ્લા બ્રિજ નજીક બની છે. અહીં નહેરની બાજુમાં આવેલા કચરાના ઢગલામાંથી તાજી જન્મેલી એક બાળકીનો મૃતદેહ મળી આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બાળકીને જોઈને સ્પષ્ટ જણાઈ આવ્યું હતું કે, જન્મ છુપાવવાના આશયથી આ માસૂમને મૃત હાલતમાં તરછોડી દીધી હતી. જનેતાની આ ક્રૂરતાએ માનવ સમાજનું માથું શરમથી ઝુકાવી દીધું છે. સાતવલ્લા બ્રિજ નજીકના 50થી વધુ CCTVની તપાસઘટનાની જાણ થતા જ સચિન પોલીસ તુરંત સ્થળ પર દોડી આવી હતી. પોલીસે નવજાતના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે. આ અમાનવીય કૃત્ય કરનારને ઝડપી પાડવા માટે પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સાતવલ્લા બ્રિજ નજીકના 50થી વધુ સીસીટીવી ફૂટેજની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ આજુબાજુની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં તાજેતરમાં પ્રસૂતિ થયેલી મહિલાઓની માહિતી પણ એકત્ર કરવામાં આવી રહી છે, જેથી કડી મળી શકે. હાલ પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી, પરંતુ હવે બીજી બાળકીનું મૃત્યુ થતા શહેરમાં આક્રોશની લાગણી ફેલાઈ છે. 28 નવેમ્બરની મોડીરાતે જુના કવાસ ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી બાળકી મળી હતી રોજ સચિનની ઘટનાના ઠીક સાત દિવસ પહેલા એટલે કે, 28 નવેમ્બરના રોજ ઈચ્છાપુરના જુના કવાસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમ બનાવ બન્યો હતો. અહીંથી પસાર થતા સ્થાનિક લોકોએ અચાનક બાળકના રડવાનો અવાજ સાંભળ્યો હતો. ખુલ્લી જગ્યામાં ત્યજેલી હાલતમાં મળી આવેલી આ બાળકીની નાજુક સ્થિતિ જોઈને સ્થાનિકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. ઈચ્છાપોર પોલીસે સમય વેડફ્યા વિના માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા બાળકીને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલના આઈસીયુ (ICU) વિભાગમાં દાખલ કરી હતી. જોકે, બાળકીની તબિયત વધુ લથડતા બે દિવસ પહેલા જ આ માસૂમે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. (સંપૂર્ણ સમાચાર વાંચવા ક્લિક કરો)

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 3:50 pm

બાર એસો.ની ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયુ:રાજકોટની RBA પેનલ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ, વકીલો પાસેથી ફી, લો કોલેજો પાસેથી રૂ. 16 લાખ ઉઘરાવ્યાનો આરોપ, સામાપક્ષે આરોપો ફગાવ્યા

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી આગામી 19 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. તે પહેલા રાજકારણ ગરમાયું છે. બાર કાઉન્સિલ ઓફ રાજકોટના પૂર્વ સેક્રેટરી જીગ્નેશ જોશીએ હરીફ RBA પેનલના સભ્યો સામે ગંભીર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે, જેના કારણે વકીલ આલમમાં ખળભળાટ મચી ગયો છે. જોષીએ આક્ષેપ કર્યો છે કે, થોડા દિવસો પહેલા યોજાયેલા એક લીગલ સેમિનારમાં નિયમોનું ઉલ્લંઘન કરીને 400 વકીલો પાસેથી રૂ. 2500 જેટલી મોટી ફી વસૂલવામાં આવી હતી. આ સિવાય, લો કોલેજોની પાસેથી પણ જંગી રકમ એટલે કે રૂ. 16 લાખ ઉધરાવવામાં આવ્યા હોવાનો સણસણતો આરોપ તેમણે લગાવ્યો છે. જોકે સામાપક્ષે બાર કાઈલઉન્સિલ ઓફ ઇન્ડિયાનાં કો-ચેરમેન દિલીપ પટેલ અને બાર એસો.નાં પ્રમુખ પરેશ મારૂએ આરોપોને ફગાવ્યા હતા. અને જીજ્ઞેશ જોષી સામે વળતા પ્રહારો કર્યા હતા. રાજકોટ બાર એસોસિએશનનાં પૂર્વ સેક્રેટરી જીગ્નેશ જોશીએ આ આક્ષેપો કરતી વખતે આયોજકોના નામ પણ લીધા હતા. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ આયોજન સાથે સંકળાયેલા દિલીપ પટેલ, બારના વર્તમાન પ્રમુખ પરેશ મારૂ અને સુમિત વોરાએ આ રૂપિયા લીધા છે. જોષીએ જણાવ્યું કે, બાર એસોસિએશનનો મુખ્ય ઉદ્દેશ વકીલ સભ્યોના હિત માટે કામ કરવાનો હોય છે, નહીં કે તેમની પાસેથી કે લો કોલેજો પાસેથી ગેરકાયદેસર રીતે મોટી રકમ વસૂલવાનો. વધુમાં તેમણે જણાવ્યું કે, એક તરફ વકીલો પાસેથી રૂ. 2500 જેવી માતબર ફી લેવામાં આવી અને બીજી તરફ લો કોલેજો પાસેથી રૂ. 16 લાખ જેવી મોટી રકમ ઉઘરાવવામાં આવી હતી. આમ વકીલોના નામે નાણાં ઉઘરાવવાનો આ સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે અને આ મામલે સભ્યો દ્વારા ચોક્કસપણે જવાબ માંગવો જોઈએ. આ મહત્વનું સત્ય ચૂંટણી પહેલા બહાર આવવું જરૂરી હતું. જેથી વકીલો સાચા અને ઈમાનદાર પ્રતિનિધિઓને ચૂંટી શકે.આ પ્રકારના ગંભીર આક્ષેપો બારની ચૂંટણી પહેલા જ લાગતા RBA પેનલ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે અને ચૂંટણીનું રાજકારણ ટોચ પર પહોંચ્યું છે. ભ્રષ્ટાચારના આક્ષેપો મામલે દિલીપ પટેલ અને પરેશ મારૂનો પલટવાર રાજકોટ બાર એસોસિએશન (RBA) પેનલના ઉમેદવારો સામે પૂર્વ સેક્રેટરી જીગ્નેશ જોષી દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપો મામલે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન દિલીપ પટેલે અને રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પરેશ મારૂએ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને તેને ચૂંટણી ટાણેનું 'ગંદુ રાજકારણ' ગણાવીને આક્ષેપ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. દિલીપ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વકીલો માટે જે સેમિનાર યોજાયા હતા, તેમાં કોઈપણ દાન આવ્યું હોય, તો તે બેંક ખાતામાં જ આવ્યું છે અને તેના તમામ હિસાબો તેમની પાસે ઉપલબ્ધ છે. જો કોઈ ખોટું થયું હોય કે કોઈને દબાવીને દાન લેવામાં આવ્યું હોય તો તે લોકોએ ફરિયાદ કરવી જોઈએ. આ મામલે RBA પેનલ દ્વારા જીગ્નેશ જોષીને નોટિસ પણ આપવામાં આવી છે. જીગ્નેશ જોષીને અગાઉ પેપરમાં ચોરી કરાવવા મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે કાયદાકીય તમામ લડાઈ લડવામાં આવશે. તો સાથે જ આરોપોને સાબિત કરવાની ચેલેન્જ પણ તેમણે આપી હતી. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પરેશ મારૂએ આ આક્ષેપોને સાવ પાયા વિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ બધું તો ચૂંટણીમાં પ્રમુખ પદના ઉમેદવારોની છબી ખરાબ કરવા માટેનું ષડયંત્ર છે. જીગ્નેશ જોષી સામે અગાઉ પણ ચોરીના કેસ થયેલા છે અને તે સસ્પેન્ડ પણ થયેલ છે, આથી આ લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ બધું તો ચૂંટણી ટાણે એક ગંદુ રાજકારણ ચાલુ થયું છે. જે ચલાવી લેવામાં આવશે જ નહીં. બારની ચૂંટણીનું રાજકીય સમીકરણ અને પેનલો રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં આ વખતે બે મુખ્ય પેનલો મેદાનમાં છે.જેમાં સમરસ પેનલને ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલનું સીધું સમર્થન છે. જ્યારે બીજી RBA પેનલને પણ ભાજપના જ એક અગ્રણી નેતા અને આક્ષેપમાં નામ લેવાયેલા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનાં કો-ચેરમેન દિલીપ પટેલનું સમર્થન છે. આમ, બાર એસો.ની ચૂંટણીમાં બે મુખ્ય પેનલો આમને-સામને છે, જેમાંથી બંનેને ભાજપના જુદા-જુદા જૂથોનું સમર્થન મળેલું છે. બંને પક્ષોનાં આરોપો-પ્રતિઆરોપોથી ચુંટણી દરમિયાન રાજકીય સમીકરણો બદલાય તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત હેઠળ કામ કરતી રાજકોટ બાર એસોસિએશન વકીલોના હિતોનું રક્ષણ કરવા અને ન્યાય પ્રણાલીની ગરિમા જાળવવા માટે જવાબદાર છે. આવા સમયે જ્યારે તેની ચૂંટણી પહેલા જ આટલો મોટો ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે, ત્યારે તેની વિશ્વસનીયતા પર સવાલો ઊભા થયા છે. વિવાદને લઈ ચૂંટણી પરિણામો અને વકીલોના મતદાન પર મોટી અસર પડી શકે છે. જોકે સામાપક્ષે પણ વળતો પ્રહાર કરી તમામ આક્ષેપો ફગાવ્યા છે. અને આરોપો સાબિત કરવાની ચેલેન્જ આપી છે. ત્યારે હવે વકીલો કઈ પેનલને સપોર્ટ કરશે તે તો આવનારો સમય જ બતાવશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 3:27 pm

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આવતીકાલે વાવ-થરાદની મુલાકાત લેશે:અમિત શાહનો બનાસ ડેરીનો પ્રાદેશિક પ્રવાસ; સણાદર ખાતે વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને સંસદસભ્યો 4થી 6 ડિસેમ્બર 2025 દરમિયાન બનાસકાંઠા સ્થિત બનાસ ડેરીના પ્રાદેશિક પ્રવાસે જઈ રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ અને અમિત શાહના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકાયેલા 'સહકારી મોડેલ’ દ્વારા ‘સહકારથી સમૃદ્ધિ’ અને ‘વિકસિત ભારત’ના રાષ્ટ્રીય લક્ષ્યોની પ્રાપ્તિમાં અપાયેલા યોગદાનને દર્શાવવાનો છે. આ પણ વાંચો, આજથી અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં:ગાંધીનગરમાં અર્થ સમિટનું ઉદ્ઘાટન કર્યું, કહ્યું-ગામડાઓને બાજુમાં રાખી દેશનો વિકાસ શક્ય નથી સહકારિતા મંત્રાલયની સમિતિ દ્વારા પ્રગતિની સમીક્ષાઅમિત શાહના નેતૃત્વમાં સહકારિતા મંત્રાલયની સલાહકાર સમિતિ આ પ્રવાસ દરમિયાન ડેરી વિકાસ, પરિપત્ર અર્થતંત્ર, કૃષિ મૂલ્ય સંવર્ધન, પશુધન ઉત્પાદકતા, જળ સંરક્ષણ અને ગ્રામીણ સહકારી સશક્તિકરણના ક્ષેત્રોમાં બનાસ ડેરી દ્વારા કરવામાં આવેલી વિવિધ પહેલોની સઘન સમીક્ષા કરશે. સહકારિતા રાજ્ય મંત્રીઓ કૃષ્ણપાલ ગુર્જર અને મુરલીધર મોહોળ, તેમજ મંત્રાલયના સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ પણ આ પ્રવાસમાં જોડાશે. 6 ડિસેમ્બર, 2025ના રોજ બનાસકાંઠા સ્થિત બનાસ ડેરી પરિસરમાં અમિત શાહની અધ્યક્ષતામાં સલાહકાર સમિતિની ત્રીજી બેઠક યોજાશે, જેમાં ‘સહકારી ડેરી વિકાસ’ સંબંધિત વિવિધ પહેલો પર સમીક્ષા કરવામાં આવશે. મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન6 ડિસેમ્બર, 2025ના રોજ અમિત શાહ સણાદરમાં આયોજિત જનસભામાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ નીચેના મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે. અગથાળા ખાતે બાયો-સીએનજી અને ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પરિપત્ર અર્થતંત્રની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે, જે ખેડૂતોની આવક વધારવાની સાથે સાથે સ્વચ્છ ઊર્જા ઉત્પાદનમાં પણ યોગદાન આપશે. સણાદરમાં અત્યાધુનિક 150 ટીપીડી મિલ્ક પાવડર અને બેબી ફૂડ પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવશે. સંસદસભ્યો દ્વારા વિવિધ સુવિધાઓનું નિરીક્ષણપ્રવાસ દરમિયાન સંસદસભ્યો વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરશે પાલનપુર મુખ્યાલય: અહીં ચીઝ, યુએચટી અને પ્રોટીન પ્લાન્ટ જેવી અત્યાધુનિક પ્રક્રિયા સુવિધાઓની મુલાકાત લેશે. જ્યાં વે-પ્રોટીન રિકવરી દ્વારા હાઇ-પ્રોટીન લસ્સી, છાશ અને અન્ય મૂલ્યવર્ધિત ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે. રૈયા: અહીં પશુધન-કેન્દ્રિત પહેલોની સમીક્ષા કરવા માટે ડામા સીમેન સ્ટેશન અને એમ્બ્રિયો ટ્રાન્સફર લેબની મુલાકાત લેશે. ડીસા: જમીની સ્તરની સહકારી સંસ્થાઓની ભૂમિકા સમજવા માટે 5 ડિસેમ્બર, 2025ના રોજ ડીસાના શેરપુરા ગામની ડેરી સહકારી સમિતિ (VDCS)ની મુલાકાત લેવામાં આવશે. થરાદ: બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબની સમીક્ષા કરશે. પર્યાવરણીય પહેલો: સંસદસભ્યો ઝેરડા ગામના અમૃત સરોવરની પણ મુલાકાત લેશે, જે બનાસ ડેરી દ્વારા વિકસાવવામાં આવેલા 319 અમૃત સરોવમાંનું એક છે. પર્યાવરણીય સ્થિરતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા, લૂણાવા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ તેઓ ભાગ લેશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 3:25 pm

મોગરીમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું, 85 કૃતિઓ પ્રદર્શિત:મંત્રી રમણભાઈ સોલંકી અને કમલેશભાઈ પટેલે ખુલ્લું મૂક્યું

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી આણંદ અને જ્ઞાનયજ્ઞ વિદ્યાલય, મોગરીના સંયુક્ત ઉપક્રમે મોગરી ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી તથા નાણા રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પ્રાથમિક અને માધ્યમિક કક્ષાના આ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનમાં કુલ 85 કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. પ્રદર્શન ખુલ્લું મૂક્યા બાદ મંત્રી રમણભાઈ સોલંકી, કમલેશભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોએ રજૂ કરાયેલી વિવિધ કૃતિઓ નિહાળી હતી. તેમણે નાના વૈજ્ઞાનિકો પાસેથી તેમની કૃતિઓ વિશે જાણકારી મેળવી હતી અને સંતોષ વ્યક્ત કર્યો હતો. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ પ્રદર્શનની મુખ્ય થીમ 'વિકસિત અને આત્મનિર્ભર ભારત' રાખવામાં આવી છે. તેમણે ટકાઉ ખેતી, કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો, હરિત ઊર્જા, વિકસતી અને નવીન ટેકનોલોજી, મનોરંજક ગણિત મોડેલ, આરોગ્ય અને સ્વચ્છતા તથા જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન જેવા વિષયો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિકો અને તેમને તૈયાર કરનાર શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. નાણા, જેલ અને પોલીસ આવાસ વિભાગના રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજની યુવા પેઢી નવી શોધો દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. તેમણે સ્વદેશી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે આ પ્રદર્શનની થીમ બાળકો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. તેમણે બાળકોમાં રહેલી શક્તિઓ દેશ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે તેમ જણાવી તેમને અભિનંદનને પાત્ર ગણાવ્યા હતા. આ કાર્યક્રમમાં અનુપમ મિશનના કુલગુરુ પૂજ્ય રતિકાકા, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ સોલંકી, જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચનાબેન પ્રજાપતિ, જ્ઞાનયજ્ઞ વિદ્યાલયના આચાર્ય સહિત શિક્ષક ગણ, વિવિધ શાળાના આચાર્ય, શૈક્ષણિક સંઘના પ્રમુખ, સીઆરસી, બીઆરસી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 3:24 pm

વડોદરામાં AI ઇનોવેશન સમિટ:બે દિવસીય સમિટમાં 800 જેટલા CA હાજર રહ્યા, CAના ક્ષેત્રમાં AIનો ઉપયોગ કરીને કામ સરળ અને ઝડપી બનશે, ઉપયોગની તાલીમ અને ફાયદાઓ અંગે ચર્ચા થઈ

વડોદરા બ્રાન્ચ ઓફ WIRC ઓફ ICAI ICAIની AI કમિટી દ્વારા અને આણંદ, ભરુચ ભાવનગર, ભુજ, ગાંધીધામ, જામનગર, નવસારી, રાજકોટ અને વાપી બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે AI ઇનોવેશન સમિટ ગુજરાત 2025 નેવિગેટીંગ ધ ફ્યુચરની બે દિવસીય કોન્ફરન્સનો આજથી પ્રારંભ થયો છે, વડોદરાના પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગર ગૃહ ઓડિટોરિયમ ખાતે આ કોન્ફરન્સ શરૂ થઈ છે. જેમાં દેશભરમાંથી અંદાજે 800 જેટલા સીએ ઉપસ્થિત રહ્યા છે. ​​​​​​​ICAI બરોડા ચેપ્ટરના ચેરમેન દ્રુવિક પરીખે જણાવ્યું હતું કે, આજની કોન્ફરન્સ એઆઇ ઇનોવેશન સમિટ છે. AIનો ભવિષ્યમાં સીએ ફિલ્ડમાં કેટલો ફાયદો થશે, તેની ચર્ચા માટે આજની કોન્ફરન્સ યોજાઇ છે. ભવિષ્યમાં સીએના ક્ષેત્રમાં AIનો ઉપયોગ કરીને કામ સરળ અને ઝડપી બનશે. ICAI બરોડા ચેપ્ટરના પૂર્વ ચેરમેન રિકિન પટેલે જણાવ્યું હતું કે, 51 શહેરમાંથી સીએ આજની કોન્ફરન્સમાં આવ્યા છે. AI કમિટીના ચેરમેન અને વાઇસ ચેરમેન હાજર રહ્યા છે. જે લોકો હાજર રહી શક્યા નથી, તેઓ વર્ચુઅલી ઉપસ્થિત રહ્યા છે. અમે એક વર્ષથી AIની તૈયારી કરી રહ્યા છીએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 32 હજાર જેટલા CAને AIની સર્ટીફિકેટ કોર્સની ટ્રેનિંગ આપી ચૂક્યા છે અને આ બે દિવસના કાર્યક્રમ એ AI માટે જ છે. AI lને કેવી રીતે અડોપ્ટ કરવુ અને અમારા કામમાં કેવી રીતે વાપરવું તેની ટ્રેનિંગ આપી રહ્યા છીએ.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 3:20 pm

ધુળેટીના દિવસે બોર્ડની પરીક્ષાનું પેપર:વિદ્યાર્થીઓ અને વાલીઓ અસમંજસમાં, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો છબરડો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો વધુ એક છબરડો સામે આવ્યો છે. ધોરણ 10 અને બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર રજા જોયા વગર જ જાહેર કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 4 માર્ચે ધૂળેટી હોવા છતાં બોર્ડની પરીક્ષાનું પેપર ગોઠવવામાં આવ્યું છે. 4 માર્ચે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનનું પેપર રાખવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઈતિહાસ, અર્થશાસ્ત્ર, નામાના મૂળતત્વોનું બોર્ડનું પેપર રાખવામાં આવ્યું છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 4 માર્ચે જીવ વિજ્ઞાનનું પેપર લેવાનું ટાઇમેટેબલ જાહેર કરવામાં આવ્યું છે. જાહેર રજાના દિવસે બોર્ડનું પેપર રાખવામાં આવતા વાલીઓ અસમંજસમાંધૂળેટીની જાહેર રજાના દિવસે જ બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયા છે. રંગોના તહેવારના દિવસે જ બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓને વાલીઓ ચિંતામાં મુકાયા છે. જો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ પહેલી વખત આ પ્રકારની ભૂલ નથી કરવામાં આવી. અગાઉ પણ વર્ષ 2023માં ચેટી ચાંદના દિવસે બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ રજtઆતના આધારે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેથી આ વર્ષે પણ ધુળેટીના દિવસે બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવતા હવે તેમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે. આ પણ વાંચો: ધો. 10-12ની બોર્ડ પરીક્ષાઓનું ટાઇમ ટેબલ, સાયન્સમાં ફિઝિક્સ અને કોમર્સમાં ઈકોનોમિક્સના પેપરથી પ્રારંભ, 29 માર્ચે ગુજકેટની પરીક્ષા; જાણો સંપૂર્ણ કાર્યક્રમ

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 3:19 pm

બે દિવસ પહેલાં લાગેલી આગના પગલે ફાયરનું બીજા દિવસે ચેકીંગ:ફાયરની 3 ટિમ દ્વારા કોમ્પ્લેકસમા ચાલતા હોસ્પિટલોમાં ચેકીંગ હાથ ધરાયું, 5ને નોટિસ ફટકારાઈ

ભાવનગરના કાળુભા રોડ પર આવેલ સમીપ કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં 3 નવેમ્બરના આગ લાગી હતી. જેને પગલે બીજા દિવસે ભાવનગર ફાયર વિભાગની ટીમો શહેરની હોસ્પિટલમાં ચેકીંગ અર્થે નીકળી છે. અને બેઝમેન્ટ પડેલ સામાન અને અપૂરતી ફાયર સુવિધા હોઈ તેવી હોસ્પિટલો અને કોમ્પ્લેક્ષોને નોટિસો આપવામાં આવેલ છે. ફાયરની 3 ટીમે શહેરમાં ચેકિંગ હાથ ધર્યુંભાવનગર શહેરમાં બે દિવસ પૂર્વે ખાનગી કોમ્પ્લેક્ષમાં આગ લાગી હતી. જેમાં બાળકો સહિત 19 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. અને મોટી દુર્ઘટના ટળી હતી. જેને પગલે ગઈ કાલથી ફાયર વિભાગ જાગ્યુ અને કામે લાગ્યું છે. અને 3 અલગ અલગ ટિમો બનાવી શહેરમાં ચેકિંગ હાથ ધર્યું છે. જેમાં 2 સબ ઓફિસર અને 1 ફાયરનો સ્ટાફની 3 ટિમ બનાવી કુલ 9 લોકોની ટિમે શહેરી વિસ્તારમાં આવેલ હોસ્પિટલો અને કોમ્પ્લેક્ષોમાં ચેકીંગ કામગીરી હાથ ધરી છે. હોસ્પિટલોમાં ફાયર સેફટીની સુવિધા ના હોવાથી નોટિસફાયર વિભાગની 3 ટિમો દ્વારા શહેરની હોસ્પિટલમાં ઇન્સ્પેક્શન દરમિયાન ફાયર સેફટીનાં સાધનો જેવા કે, ફાયર એક્ષ્ટીંગ્યુસર ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ સ્મોક ડિટેક્ટર એલાર્મ સિસ્ટમ ઇમરજન્સી એકિઝટ, ઇમરજન્સી લાઇટીંગ, સ્ટાફ ટ્રેનિંગ તથા અન્ય સુરક્ષા સુવિધાઓની વિગતવાર તપાસ કરવામાં આવેલ, જે હોસ્પિટલોની ફાયર સેફટીની સુવિધામાં ખામી સામે આવેલ અને બેઝમેન્ટમાં પડેલ કોઈ સામન પડેલ હોવાનું સામે આવ્યું અને ટેરેસ પર સામાન મુકેલાનું સામે આવ્યું છે તેવા લોકો ને નોટીસો પાઠવવામાં આવેલ છે. 5 એકમોને નોટિસ ફટકારીજેમાં ફાયર વિભાગના ચેકીંગના પ્રથમ દિવસે સોલ હોસ્પિટલ, બિમ્સ હોસ્પિટલ, કાર્ટન સ્ક્વેર કોમ્પ્લેક્ષ, આયુષપ્લાઝા કોમ્પલેક્ષ અને અંજનેય આર્કેડ કોમ્પલેક્ષને નોટીસ પાઠવવામાં આવી છે. નોટિસ પાઠવવામાં આવેલ તમામ લોકો ને 8 થી 10 દિવસની અંદર તમામ સુવિધા પૂરી કરવી અને લેખિતમાં ફાયર વિભાગ દ્વારા સૂચના આપવામાં આવેલ. 'જ્યાં જોખમ હોય છે ત્યાં જય અને ચેકિંગ કરીએ છીએ'આ અંગે ફાયર સબ ઓફિસર કરણ ગઢવીએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા બે દિવસથી આગ બનાવ પછીથી અને વિવિધ ક્ષેત્રોમાં જ્યાં ઇન્સ્ટિટયૂસનલ બિલ્ડીંગ છે. જ્યાં મોટી ઇમારતો છે. જ્યાં જોખમ હોય છે. બેઝમેન્ટ છે. કે ત્યાં જય અને ચેકિંગ કરીએ છીએ. અમારી સીટીની અંદર વિવિધ ત્રણ ટીમો અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થળે તપાસ કરી રહી છે. જે પણ જગ્યાએ અમને એવી જગ્યા મળે છે. ત્યાં અમે જઈને નોટિસ આપીએ છીએ. અને તે સામાન છે. તે દૂર કરવા માટે વિઝિટ કરીએ છીએ. આઠ બિલ્ડિંગમાં અલગ અલગ જગ્યાએ તપાસ તેને વધુમાં કહ્યું, અમે ગઈકાલ ટોટલ આઠ બિલ્ડિંગમાં અલગ અલગ જગ્યાએ તપાસ કરેલી હતી અલગ અલગ ટીમો દ્વારા જેની અંદર જે જે જગ્યાએ ખામી દેખાણી ત્યા અમે નોટિસ ફાળવેલી છે. નોટિસની અંદર અમે અત્યારે હાલ તો પાંચ દિવસનો ટાઈમ આપીએ છીએ. તેની અંદરથી જો અમને બેઝમેન્ટની અંદર જે કાંઈ વધારાની વસ્તુ વધારાનું સ્ટ્રક્ચર જોવા મળે એ અને દૂર કરવા માટે અમેં કીધેલું છે. અને ફાયરની સિસ્ટમમાં જે કાંઈ ખામીઓ અમને જોવા મળે છે. તે અમે પૂરતા કરવા માટે ટાઈમ આપેલો છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 3:18 pm

'અમે અમારું ફોડી લેશું, તમે નવસારીનું ફોડી લેજો':વિજલપોરમાં ચંચુપાત ન કરવા ધારાસભ્યે હસતા હસતા જિલ્લા ભાજપ પ્રમુખને જાહેરમાં સલાહ આપી દીધી

નવસારી ભાજપમાં આંતરિક જૂથવાદ ફરી સપાટી પર આવ્યો હોય એવા દૃશ્યો સામે આવ્યા છે. જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલે આશાપુરી મંદિર સર્કલ પાસે યોજાયેલા શ્રી ક્ષત્રિય વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહ સ્મારક ભૂમિ પૂજન કાર્યક્રમમાં જાહેરમાં જિલ્લા ભાજપ પ્રમુખને વિજલપોર વિધાનસભા વિસ્તારમાં દખલગીરી ન કરવાની હસતા હસતા સલાહ આપી હતી. આ ઘટનાથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. 'અમારે માટે એટલું ઈનફ છે'કાર્યક્રમમાં ધારાસભ્ય આર.સી. પટેલ, જિલ્લા ભાજપના હોદ્દેદારો અને રાજપૂત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય પટેલે પોતાના સંબોધનમાં વ્યંગાત્મક રીતે જિલ્લા ભાજપ પ્રમુખને સંબોધીને કહ્યું કે, તમે વિજલપુરની ચિંતા નહિ કરતા અમે અમારું ફોડી લેહું, તમે નવસારીનું ફોડી લેજો. ધારાસભ્યના આ નિવેદન પર સ્ટેજ પર ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહે જવાબ આપ્યો કે, મને તો આખા જિલ્લાની જવાબદારી આપી છે. જેના પ્રત્યુત્તરમાં ધારાસભ્ય પટેલે તરત જ કહ્યું, મહારાણા પ્રતાપ તો દેશની જવાબદારી એનો સવાલ નહિ, પણ અત્યારે અમને વિજલપુરની જવાબદારી આપો, અમારે માટે એટલું ઈનફ છે. આ વિવાદિત સ્પીચનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અગાઉ પણ ધારાસભ્યે નારાજગી વ્યક્ત કરી હતીઆ પહેલો કિસ્સો નથી જ્યારે ધારાસભ્ય આર.સી. પટેલે જાહેરમાં જિલ્લા ભાજપ પ્રમુખ સામે નારાજગી વ્યક્ત કરી હોય. અગાઉ, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહે પોતાના સ્ટેટસમાં ધારાસભ્ય આર.સી. પટેલનો ફોટો ન મૂકતા, ધારાસભ્યએ આ મુદ્દો જાહેરમાં ઉઠાવ્યો હતો, જે ખાસ્સો ચર્ચામાં રહ્યો હતો. પોતાના સંબોધનમાં ધારાસભ્ય પટેલે રાજપૂત સમાજ અને કોળી સમાજ સહિત તમામ સમાજોને એકજૂટ રહેવા અને આંતરિક વિખવાદોને દૂર કરવાની અપીલ પણ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સમાજ અકબંધ રહે તો જ નેતાઓ ટકી શકે છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 3:14 pm

સંતરામપુરમાં કારમાંથી ₹6.97 લાખનો દારૂ-મુદ્દામાલ જપ્ત:એક આરોપી ઝડપાયો, પોલીસની વધુ તપાસ શરૂ

મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક કારમાંથી ₹2.82 લાખથી વધુનો દારૂ અને કુલ ₹6.97 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સ્ટાફ વાંકાનાળા ત્રણ રસ્તા નજીક વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, હોન્ડા જાઝ કાર (નંબર GJ-01-RM-7093) દ્વારા વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે નાકાબંધી ગોઠવી હતી. બાતમીવાળી કાર સ્થળ પર આવતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કારચાલકે ગાડી ભગાવી દીધી હતી. પોલીસે તરત જ પીછો કરી ઝાલા પાદેડી ગામ નજીક કારને રોકાવી કારચાલક અર્જુન રામસિંહ રાજપૂત (રહે. અમરાઈવાડી, અમદાવાદ)ને ઝડપી લીધો હતો. પોલીસે કારની તલાશી લેતા તેના ગુપ્ત ખાનાઓમાંથી કુલ 880 ક્વાર્ટર (180 ml) ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત ₹2,82,880 છે. આ ઉપરાંત, આરોપી પાસેથી ₹15,000નો મોબાઈલ ફોન અને ₹4,00,000ની હોન્ડા જાઝ કાર પણ જપ્ત કરવામાં આવી હતી. આમ, પોલીસે કુલ ₹6,97,880નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપીને સંતરામપુર પોલીસ સ્ટેશન લાવી તેના વિરુદ્ધ પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 3:12 pm

બોટાદમાં મહિલાઓને કાયદાકીય અધિકારોનું માર્ગદર્શન અપાયું:ઘરેલું હિંસા અને કલ્યાણકારી યોજનાઓ પર કાર્યક્રમ યોજાયો

બોટાદમાં મહિલાઓને કાયદાકીય અધિકારો અને કલ્યાણકારી સરકારી યોજનાઓ વિશે માહિતગાર કરવા એક મહત્વપૂર્ણ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GSDM) દ્વારા સંચાલિત માઈક્રોવેવ ક્લાસિસ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા અને જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ. આઈ. મન્સૂરીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. આ કાર્યક્રમમાં ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ, 2005 પર વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. અધિકારીઓએ આ અધિનિયમની જોગવાઈઓ વિશે માહિતી આપી હતી. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય ઘરેલું સંબંધોમાં મહિલાઓ પર થતી શારીરિક, માનસિક, જાતીય, ભાવનાત્મક અને આર્થિક હિંસા સહિત તમામ પ્રકારની હિંસાથી તેમનું રક્ષણ કરવાનો છે. મહિલાઓને જણાવવામાં આવ્યું કે પીડિત મહિલાઓ પોલીસ સ્ટેશન કે કોર્ટના લાંબા ચક્કરમાં પડ્યા વગર પણ તાત્કાલિક સહાય મેળવી શકે છે. આ તાત્કાલિક મદદમાં આશ્રય, તબીબી સહાય અને કાઉન્સેલિંગનો સમાવેશ થાય છે. આવી મદદ મેળવવા માટે મહિલાઓ પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, સખી વન-સ્ટોપ સેન્ટર, 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને શી ટીમનો સંપર્ક કરી શકે છે. ઘરેલું હિંસા અધિનિયમ ઉપરાંત, જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ કલ્યાણકારી સરકારી યોજનાઓ વિશે પણ મહિલાઓને વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમમાં 1098 હેલ્પલાઇન વિશે પણ વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ હેલ્પલાઇન દ્વારા ચિંતિત બાળકો તેમજ જરૂરિયાતમંદ પુખ્ત વયના વ્યક્તિઓ કઈ રીતે મદદ મેળવી શકે તેની માહિતી આપવામાં આવી, જેણે કાર્યક્રમને વધુ વ્યાપક બનાવ્યો. આ માર્ગદર્શન કાર્યક્રમ બોટાદ જિલ્લામાં મહિલા સશક્તિકરણની દિશામાં એક સકારાત્મક પગલું સાબિત થયો છે, જેનાથી મહિલાઓ તેમના અધિકારો પ્રત્યે વધુ જાગૃત બનશે અને જરૂરિયાત સમયે યોગ્ય મદદ મેળવી શકશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 3:09 pm

ગુજરાતમાં ચૂંટણીઓ પૂર્વે બ્રહ્મ સમાજ સરકાર સામે પડ્યો:રાજકોટમાં રવિવારે મહાસંમેલનમાં 34 જિલ્લાના 254 તાલુકાના પ્રતિનિધિઓનું શક્તિ પ્રદર્શન જોવા મળશે

ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભા અને કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તે પહેલાં હવે બ્રહ્મ સમાજ સરકાર સામે પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. જેના મંડાણ પણ સૌરાષ્ટ્રના પોલિટિકલ હબ ગણાતા રાજકોટથી થવા જઈ રહ્યા છે. શહેરમાં 7 ડિસેમ્બરના ગુજરાત બ્રહ્મદેવ સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે આ શક્તિ પ્રદર્શનમાં રાજ્યના 34 જિલ્લાના 254 તાલુકાના બ્રહ્મ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેવાનો દાવો કરવામાં આવ્યો છે ત્યારે હવે જોવું રહ્યું કે આ સંમેલનથી સરકાર અને વિપક્ષ દ્વારા કયા પ્રકારની રણનીતિઓ અપનાવવામાં આવે છે. ગુજરાતના બ્રહ્મદેવ સમાજનું મહાસંમેલન 7 ડિસેમ્બરના સાંજે 4 થી 7 વાગ્યા સુધી રાજકોટમાં અટલ સરોવરના અટલ પાર્ટી પ્લોટ ખાતે મળી રહ્યું છે ત્યારે તે પહેલા બ્રહ્મ સમાજના આગેવાન મિલન શુક્લે જણાવ્યું હતું કે, બ્રહ્મ સમાજની સામાજિક અને રાજકીય અવગણના મુદ્દે અમારું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. આ ઉપરાંત કર્મકાંડી બ્રાહ્મણો, દેવસ્થાનો અને EWS ને લગતી અમારી જે પડતર માંગણીઓ છે તેને રજૂ કરી શકે તે માટે શક્તિ પ્રદર્શન સ્વરૂપે અમારું સંમેલન આગામી 7 ડિસેમ્બરના મળવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટ સમાજના 31 તરગોળ ઉપસ્થિત રહ્યા છે. તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્ર કચ્છની વિવિધ સંસ્થાઓ સાથે પણ અમે સંકલન કરી રહ્યા છીએ. 34 જિલ્લાના 254 તાલુકામાંથી બ્રહ્મ સમાજના પ્રતિનિધિઓ આ સંમેલનમાં હાજર રહેવાના છે. વર્તમાન સમયમાં રાજકીય પક્ષો બ્રહ્મ સમાજની સતત ઉપેક્ષા કરી રહ્યા છે. એક પક્ષને એવું લાગી રહ્યું છે કે આ અમારી વોટબેંક છે તો ક્યાં જવાના છે ત્યારે બીજા પક્ષને એવું લાગે છે કે આ અમારામાં આવવાના નથી. જેને કારણે બ્રહ્મ સમાજનું પ્રતિનિધિત્વ ધીમે ધીમે ઘટી રહ્યું છે ત્યારે મતદારોના રૂપમાં બ્રાહ્મણો સંગઠિત થાય તે મુખ્ય ઉદ્દેશ છે. ગુજરાત બ્રહ્મ સમાજને એવી લાગણી છે કે અમારું રાજકીય પ્રતિનિધિત્વ નથી. વ્યક્તિગત કોઈને આપતા હોય તો તેની સામે અમને વાંધો ન હોઈ શકે પરંતુ બ્રહ્મ સમાજના પ્રતિનિધિ કે જે સમાજ સાથે કનેક્ટ હોય તેવા કોઈ પ્રતિનિધિઓ હાલની સરકારમા અમને દેખાતા નથી. હાલ અમે કોઈ રાજકીય આગેવાનને આમંત્રણ આપેલું નથી આ બ્રહ્મ સમાજને એકજૂટ કરી અને વેરવિખેર બ્રહ્મ સમાજને એક કરવાનો આ પ્રયાસ છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 3:09 pm

SP યુનિવર્સિટીના 2 વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાની શિબિરમાં પસંદગી:આપણી સરહદ ઓળખો કાર્યક્રમ માટે શારીરિક ક્ષમતાના આધારે પસંદગી થઈ

સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક રાજ્યશાસ્ત્ર વિભાગના બે વિદ્યાર્થીઓ મોનક હઠિલા અને હેતલ પરમારની રાજ્ય કક્ષાના આપણી સરહદ ઓળખો 2025-26 કાર્યક્રમ માટે પસંદગી કરવામાં આવી છે. આ કાર્યક્રમ ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, કચ્છ-ભૂજ દ્વારા આયોજિત છે. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો અને દેશની સરહદો વિશે પ્રત્યક્ષ જ્ઞાન પૂરું પાડવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત પસંદગી પામેલા યુવાનોએ કચ્છ-ભૂજ સરહદ વિસ્તારની મુલાકાત લીધી હતી અને સરહદ સુરક્ષા દળોની કામગીરીથી વાકેફ થયા હતા. 15 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા યુવાનો માટે યોજાતી આ શિબિરમાં શારીરિક ક્ષમતા અને મેડિકલ ફિટનેસના આધારે પસંદગી કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાંથી કુલ 100 વિદ્યાર્થીઓની પસંદગી થાય છે, જેમાં સરદાર પટેલ યુનિવર્સિટીના આ બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓની પસંદગી બદલ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ, કુલસચિવ અને રાજ્યશાસ્ત્ર વિભાગના કાર્યકારી વડાએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાની શારીરિક સક્ષમતા અને વાલીની સંમતિ સાથે આ સાહસિક પ્રવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. દસ દિવસના આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ કચ્છના વિવિધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં ભુજ દર્શન (આઈના મહેલ, પ્રાગ મહેલ, કચ્છ મ્યુઝિયમ, હમીસર તળાવ, સ્વામિનારાયણ મંદિર), રુદ્રમાતા જાગીર, મેકરણ દાદા, ગાંધી ગામ, ધોળાવીરા, ઐતિહાસિક લખપત કિલ્લો, ગુરુદ્વાર, પ્રાચીન દરગાહ, નારાયણ સરોવર, કોટેશ્વર મંદિર, અંબે ધામ મંદિર, શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક, ગાંધી સમાધિ, જેસલ તોરલ સમાધિ, મોમાઈ મોરા મંદિર જેવા સ્થળોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમણે સરહદી વિસ્તારો જેવા કે કાળા ડુંગર, કુરન, ઇન્ડિયા બ્રિજ, હરદોઈ પોસ્ટ, ઝીરો લાઇન સીમા દર્શન, નળાબેટ સીમા દર્શન અને BSF પરેડ તથા મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. કુદરતી સૌંદર્યમાં સફેદ રણ, ધીણોધર પર્વતારોહણ, જખો બંદર, માંડવી બીચ અને દરિયાકાંઠાનું પરિભ્રમણ પણ સામેલ હતું. વિદ્યાર્થીઓને કચ્છી ગ્રામ્ય જીવન, સાગર ખેડૂતો સાથે મુલાકાત અને વાગડ લોક સંસ્કૃતિનો પરિચય પણ કરાવવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 2:56 pm

પાટણમાં મહિલા સાથે લાખોની છેતરપિંડી:ઇન્સ્ટાગ્રામથી ઓળખાણ કેળવી જબરદસ્તીથી શારીરિક સંબંધ બાધ્યા, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 27.25 લાખ પડાવ્યા

પાટણ જિલ્લાના બાલીસણા વિસ્તારમાં એક મહિલા સાથે બ્લેકમેલિંગ અને લાખો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા ઓળખાણ કેળવી બે આરોપીઓએ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધી તેનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોના આધારે ધમકી આપી કુલ ₹27.25 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ ઘટના 31 ઓગસ્ટ 2024 થી 24 સપ્ટેમ્બર 2025 દરમિયાન બની હતી. બાલીસણા વિસ્તારની એક મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, પરેશ બેચરભાઈ પટેલ (રહે. મોરડ, ધામડી ગડૂ, સાબરકાંઠા) અને ઝાકીરહુસેન અબુબકર મેમણ (રહે. મેમણ કોલોની, વડાલી, સાબરકાંઠા) નામના બે આરોપીઓએ ઇન્સ્ટાગ્રામ દ્વારા ફરિયાદી સાથે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ, આરોપીઓએ મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા અને ગુપ્ત રીતે તેનો વીડિયો મોબાઈલમાં ઉતારી લીધો હતો. આ વીડિયોનો ઉપયોગ કરીને આરોપીઓએ મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં, આરોપીઓએ પોતાની માતાની દવાના બહાને ખોટો વિશ્વાસ આપી મહિલા પાસેથી પૈસા લીધા હતા. બાદમાં, વીડિયો અન્ય વ્યક્તિઓને શેર કરવાની ધમકી આપીને વધુ પૈસા પડાવ્યા હતા. આ ઉપરાંત, આરોપીઓએ મહિલાને બે કરોડ રૂપિયાની બેંક લોન મંજૂર કરાવીને તે પરત આપવાની ખોટી ખાતરી આપી હતી. જો વધુ પૈસા ન આપવામાં આવે તો મહિલાના પતિની દુકાને જઈને તેમને મારવાની ધમકી પણ આપી હતી. એટલું જ નહીં, ફરિયાદીની દીકરીને કેનેડાથી પાછી લાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. આરોપીઓએ મહિલા પાસેથી લીધેલા ચેકના કેસમાં બે વર્ષની સજા કરાવવાની અને જામીન ન મળે તેવી ધમકીઓ પણ આપી હતી. તેઓએ ફરિયાદી સાથે બિભત્સ ભાષાનો પ્રયોગ કરી, ડરાવી-ધમકાવીને અવારનવાર તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. જ્યારે મહિલાએ પોતાના પૈસા પરત માંગ્યા, ત્યારે આરોપીઓએ ઇનકાર કરીને છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. આ રીતે, આરોપીઓએ કુલ ₹27,25,000ની છેતરપિંડી આચરી હતી. આ બનાવ અંગે બાલીસણા પોલીસ મથકે બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2)(m), 79, 316(2), 318(4), 308(2), 3(5) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 2:41 pm