SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

ઈરાને યુદ્ધ રોકવા ટ્રમ્પ સામે બે શરતો મૂકી! પાકિસ્તાનમાં મધ્યસ્થી બેઠકની અટકળો પર જાણો અમેરિકાનો જવાબ

Israel-Iran Conflict Escalates: મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે અસમંજસની સ્થિતિ દેખાઈ રહી છે. ગઇકાલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ચાલી રહી છે અને હવે 5 દિવસ સુધી અમેરિકા ઈરાન પર હુમલા નહીં કરે. જોકે જાહેરાત બાદ પણ ઈરાનમાં હુમલા થઈ રહ્યા છે. ઈરાન પણ ઈઝરાયલ પર વળતાં પ્રહાર કરી રહ્યું છે. એવામાં ઈરાને અમેરિકા સામે યુદ્ધ રોકવા માટે બે શરતો મૂકી છે.

ગુજરાત સમાચાર 24 Mar 2026 7:47 am

ટ્રમ્પની જાહેરાત બાદ પણ યુદ્ધ ન રોકાયું! ઈરાને ઈઝરાયલ પર મિસાઈલોથી હુમલો કર્યો, જાણો ટોપ-10 અપડેટ્સ

Israel-Iran Conflict Escalates: મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે અસમંજસની સ્થિતિ દેખાઈ રહી છે. ગઇકાલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ચાલી રહી છે અને હવે 5 દિવસ સુધી અમેરિકા ઈરાન પર હુમલા નહીં કરે. જોકે જાહેરાત બાદ પણ ઈરાનમાં હુમલા થઈ રહ્યા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અજ્ઞાત ઈરાની અધિકારીઓ સાથે તેમની સારી વાતચીત થઈ છે અને ઈરાન ડીલ કરવા માંગે છે. બીજી તરફ ઈરાનનો દાવો છે કે ટ્રમ્પ ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે અને તેલ-ગેસ માર્કેટમાં ફાયદો મેળવવા ખોટા દાવા કરી રહ્યા છે.

ગુજરાત સમાચાર 24 Mar 2026 7:23 am

પેટ્રોલ પંપ પર પેનિક:પેટ્રોલ ભરાવવા પ્રજામાં પડાપડી

યુદ્ધના કારણે જહાજની અવર-જવર અટકી જતાં ઇંધણ, ગેસ સહિતના જથ્થાનો હાલમાં બિનજરૂરી વપરાશ ન કરવા અપીલ કરવામાં આવી રહી છે. સરકારનો દાવો છે કે, આપણી પાસે પુરતું ઇંધણ અને ગેસ સહિતનો જથ્થો છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી લોકો ઘરેલું ગેસના બાટલા મેળવવા માટે રીતસર લાઇનો લગાવે છે અને 10 દિવસે માંડ બાટલા મળે છે. કોમર્સિયલ ગેસ હજી સુધી શરૂ થયો નથી. આ વચ્ચે સોમવારે બપોરે બાદ અફવા ફેલાતાં કચ્છના તમામ શહેરો અને ગામમાં આવેલા પંપો પર પેટ્રોલ અને ડીઝલ પુરાવવા માટે લોકોની કતારો લાગી હતી. એક તબક્કે લોકડાઉનની યાદો તાજા થઇ હતી. જો કે, ગુજરાત સરકાર પુરવઠા વિભાગના સચિવ અને ખુદ નાયબ મુખ્યમંત્રીએ પણ હાલમાં પુરતો જથ્થો હોવાનું જણાવી અફવામાં ગેરમાર્ગે ન દોરાવવા જણાવ્યું હતું. કચ્છમાં પણ અફવાને પગલે ઠેક-ઠેકાણે લાઇનો જોવા મળી હતી. માંડવી : પેટ્રોલની અછતથી પંપો પર વાહનોની લાંબી કતારો માંડવી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં પેટ્રોલનો પુરવઠો ખોરવાતા અચાનક અછત જેવી સ્થિતિ સર્જાઈ જતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. સવારથી જ અનેક પેટ્રોલ પમ્પો પર પેટ્રોલ ઉપલબ્ધ ન હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામેનો કરવો પડ્યો હતો. પેટ્રોલ નહીં મળવાની વાત વાયુવેગે ફેલાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો પોતાના વાહનો લઈને પેટ્રોલ ભરાવવા પમ્પો પર ધસી આવ્યા હતા. પરિણામે શહેરના લગભગ તમામ પેટ્રોલ પમ્પો પર લાંબી કતારો લાગી ગઈ હતી. ઘણી જગ્યાએ તો કલાકો સુધી રાહ જોયા બાદ પણ લોકોને પેટ્રોલ મળ્યું નહોતું, જેને કારણે નારાજગીનો માહોલ પણ સર્જાયો હતો. સાંજના સમયે શહેરના જોષી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરેલું ટેન્કર પહોંચતા જ બાઈકચાલકોની વિશાળ લાઈન જોવા મળી હતી. યુવાનોથી લઈને વયસ્કોને કલાકો સુધી પેટ્રોલ મેળવવા માટે ધક્કામુક્કી વચ્ચે પોતાનો વારો આવવાની રાહ જોવી પડી હતી. આ સમગ્ર પરિસ્થિતિ અંગે માંડવી પેટ્રોલ પમ્પ એસોસિએશનના અગ્રણી શૈલેષ મડિયારએ જણાવ્યું હતું કે ઉપરથી મળતા ઓર્ડર મુજબ સપ્લાય સમયસર નહીં પહોંચતા મુશ્કેલી ઊભી થઈ છે. જોકે, તેમણે આશ્વાસન આપ્યું હતું કે ગભરાવાની કોઈ જરૂર નથી અને ટૂંક સમયમાં તમામ પેટ્રોલ પમ્પો પર નિયમિત પુરવઠો ફરી શરૂ થશે. અંજાર : પંપો પર ડીઝલનો જથ્થો ખૂટ્યો શહેરમાં પેટ્રોલ અને ડીઝલની અછતની આશંકાએ ભારે અફરા- તફરી મચાવી હતી. બપોરથી સાંજ સુધી તમામ પેટ્રોલ પંપો પર વાહનોનું કીડીયારું ઉભરાતા ડીઝલનો જથ્થો સંપૂર્ણપણે ખૂટી ગયો હતો. સ્થિતિ કાબૂ બહાર જતાં અને પંપ બંધ કરવાની નોબત આવતા સંચાલકોએ પોલીસ સુરક્ષાની માંગ કરી હતી, જેના પગલે સાંજે ગંગા નાકા પાસેના પંપ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. આ પડાપડીને કારણે ગંગા નાકા વિસ્તારમાં વાહનોની કિલોમીટરો લાંબી કતારો લાગી હતી, જેનાથી મુખ્ય માર્ગો રીતસર બ્લોક થઈ ગયા હતા અને કલાકો સુધી ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. નલિયા : 3 માંથી 2 પંપ પર ડીઝલનો જથ્થો ખલાસ થઈ ગયો! અબડાસા તાલુકાના નલિયામાં પેટ્રોલ-ડીઝલની અછત હોવાની અફવા ફેલાતા બપોર પછી પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ખેડૂતો અને વાહનચાલકોમાં ફફડાટ ફેલાતા લોકોએ જરૂરિયાત કરતા વધુ ઈંધણ ભરાવવાનું શરૂ કર્યું હતું. એકસાથે ઘસારો વધતા પંપના કર્મચારીઓને ચા-પાણીની પણ ફુરસદ મળી ન હતી. પેનિક કારણે નલિયાના 3 માંથી 2 પંપ પર ડીઝલનો જથ્થો ખલાસ થઈ ગયો હતો. ભારત પેટ્રોલ પંપના કર્મચારી કિશોરસિંહ જાડેજા અને શિવ પંપના માલિક અર્જણભાઈ ભાનુશાલીએ સ્પષ્ટતા કરી છે કે ઉપરથી પુરવઠો રાબેતા મુજબ જ ચાલુ છે, માત્ર અફવાને કારણે લોકો તૂટી પડતા જથ્થો જલ્દી પૂરો થયો છે. તેમણે ખાતરી આપી છે કે રાત્રે 12 વાગ્યા સુધીમાં કે આવતીકાલ સવાર સુધીમાં નવો જથ્થો આવી જશે. નખત્રાણા : પુરતો જથ્થો હોવાની સ્પષ્ટતા તોય વાહન ચાલ્કો વાત માનવા તૈયાર નહીં! વાહનચાલકો મોટી સંખ્યામાં પેટ્રોલ પંપો પર ઉમટી પડ્યા હતા, જેના કારણે તમામ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. સ્થિતિ એવી હતી કે લોકો પોતાના વાહનોની ટાંકી ફૂલ કરાવવા માટે ધોમધખતા તાપમાં પણ કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા હતા. જોકે, નખત્રાણાના પેટ્રોલ પંપ માલિકોએ તાત્કાલિક સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે તેમની પાસે પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાય ચેઈનમાં કોઈ અડચણ નથી. મુન્દ્રા : પેટ્રોલની અછતની ભીતિએ લોકો દોડ્યા, જથ્થો પુરો થતાં પંપમાં ખાલીપો વર્તાયો હાલ ઈઝરાઈલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરો હવે ધીમે ધીમે સ્થાનિકે જાહેર જીવનમાં દેખાવા માંડી હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. ગત સાંજથી નગરમાં પેટ્રોલનો જથ્થો ખૂટ્યો હોવાની વાતો વીજળી વેગે વહેતી થતાં વહેલી સવારથી લોકોએ પેટ્રોલ પંપો ભણી દોટ મૂકી હતી. સાડાઉ રોડ સ્થિત પેટ્રોલ પંપ પર પેટ્રોલનો જથ્થો ઉપલબ્ધ ન હોઈ અછત સર્જાઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. રવિવારના કારણે મુખ્ય ડેપો બંધ હોઈ સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ સાંજથી ટેન્કરો આવવાનું શરુ થતાં વિતરણ રાબેતા મુજબ શરૂ થયું હતું. રાપર : કેરબા-બોટલમાં ઇંધણ નહીં ભરાય પેટ્રોલ અને ડીઝલની ખૂટી ગયાની અફવાઓ ફેલાતા પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી લાઈનો લાગી હતી, જેના કારણે કેટલાક પેટ્રોલ પંપ પર જથ્થો ખૂટી પડ્યો હતો. રાપર પેટ્રોલપંપ એસોસિએશન દ્વારા કેરબા, બેરલ, બોટલમાં પેટ્રોલ-ડીઝલ હાલે આપવામાં નહીં આવે તેવી સરકારની ગાઈડ લાઈન હોઈ લોકોને અપીલ કરાઈ હતી કે ખોટો સ્ટોક કરવો નહીં.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:28 am

દબાણ કરાયા દૂર:માંડવી તાલુકાના મોટા સલાયામાં 600 ચો. ફૂટ દબાણ દૂર કરી 10 લાખની જમીન ખુલ્લી કરાઈ

માંડવી તાલુકાના મોટા સલાયામાં ખારવા સમાજની વાડી આગળ ગેરકાયદેસર રીતે કરેલા દબાણ પર બુલડોઝર ફેરવી દઈ રૂપિયા 10 લાખની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ઉચ્ચ અધિકારીઓએ ગેરકાયદેસર દબાણ પર કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.જેને ધ્યાને લઇને માંડવી મરીન પોલીસ મથકના પીઆઈ વી.વી.ભોલા સહીત પોલીસ સ્ટાફ તેમજ માંડવી નગરપાલિકા સાથે સંકલન કરી મોટા સલાયામાં કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ખારવા સમાજની વાડી આગળના ભાગે સાર્વજનિક જગ્યા ઉપર કેટલાક ઈસમોએ ગેરકાયદેસર દબાણ કરી કાચું બાંધકામ કરી વાડો બનાવેલો હતો.જેની ઉપર બુલડોઝર ફેરવી દઈ રૂપિયા 10 લાખની કિંમતની 600 ચોરસ ફૂટ જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:23 am

‘ગોલ્ડન અવર’માં અપાઈ તાત્કાલિક સારવાર:પડાણા પાસે અકસ્માતમાં ઘવાયેલા યુવાન માટે પોલીસની ઇન્ટરસેપ્ટર વાન જ ‘એમ્બ્યુલન્સ’ બની

પડાણા પંચરત્ન માર્કેટ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે બિહારના શ્રમિકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો, પરંતુ તે જ સમયે પેટ્રોલિંગમાં રહેલી જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ માટે આ યુવાનનો જીવ બચાવવો પ્રાથમિકતા બની હતી. પોલીસે ‘ગોલ્ડન અવર’નું મહત્વ સમજી એમ્બ્યુલન્સની રાહ જોયા વગર ઇજાગ્રસ્તને પોતાની ઇન્ટરસેપ્ટર ગાડીમાં જ હોસ્પિટલ પહોંચાડી માનવતા મહેકાવી હતી. મૂળ બિહારના સુનીલ શિવજી રામ નામના યુવાનને પડાણા પંચરત્ન માર્કેટ સામે એક અજાણ્યા કાર ચાલકે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે સુનીલને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાયો હતો. આ ઘટના બની ત્યારે જ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ ઇન્ટરસેપ્ટર વાહન સાથે ત્યાંથી પસાર થઈ રહી હતી. પીએસઆઈ ડી.જે. પ્રજાપતિ અને તેમની ટીમે પરિસ્થિતિની ગંભીરતા પારખી લીધી હતી. યુવાનને તાત્કાલિક સારવારની જરૂર હોવાથી ટીમે સમય સૂચકતા વાપરી હતી. પીએસઆઈ ડી.જે. પ્રજાપતિ, વુમન એએસઆઈ પુષ્પાબેન મંછાજી, હેડ કોન્સ્ટેબલ હીરાભાઇ શંકરભાઇ, કોન્સ્ટેબલ શૈલેષભાઇ ભગવાનભાઇ અને હેડ કોન્સ્ટેબલ દાનાભાઇ સેંધાભાઇએ તાત્કાલિક ઇજાગ્રસ્તને ઇન્ટરસેપ્ટર વાનમાં બેસાડી પ્રથમ ડિવાઇન લાઇફ હોસ્પિટલ ખસેડ્યો હતો. પીએસઆઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ઇજા ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે યુવાનને ભુજ રિફર કરાયો છે. તે સમયે અમારો પ્રથમ ઉદ્દેશ્ય તેને તાત્કાલિક સારવાર અપાવી તેનો જીવ બચાવવાનો હતો.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:19 am

તંત્રનું ઉદાસીન વલણ:ભુજમાં લાખોના ખર્ચે બનેલા અર્બન હેલ્થ સેન્ટર બહાર ગંદકી કાયમી બની

શહેરના કેમ્પ એરિયામાં જૂની મેન્ટલ હોસ્પિટલની સામે લાખો રૂપિયાના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટર બનાવાયું છે, પરંતુ કમનસીબે આ સરકારી દવાખાનાનું મુખ્ય પ્રવેશદ્વાર ગંદકી અને પશુઓના જમાવડાનું કેન્દ્ર છે. અહીં નગરપાલિકા કચરાપેટી પણ રાખી છે.દવાખાનું બન્યું તે પહેલાથી લોકો અહીં કચરો ફેંકે છે અને હજી પણ ચાલુ જ છે. રોડ પર કચરો હોવાથી આખો દિવસ રખડતા પશુઓનો મેળાવડો હોય છે. બીમાર દર્દીઓ માટે ગંદકીના ગંજમાંથી પસાર થઈને દવા લેવા જવું મુસીબત બન્યું છે. પાલિકા દ્વારા અહીં સીસીટીવી કેમેરા લગાવીને તમે કેમેરાની નજરમાં છો તેવા બોર્ડ મારીને સંતોષ માની લેવાયો છે. જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર, આ કેમેરાના ફૂટેજ માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર મૂકવામાં આવે છે, પરંતુ કચરો ફેંકનારા સામે નક્કર કાયદાકીય કાર્યવાહી કરાતી નથી. ગંદકીના કારણે ઘણા દર્દીઓ અહીં આવવાનું ટાળી રહ્યા છે, આ અર્બન હેલ્થ સેન્ટર સીધું જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા હેઠળ આવે છે, ત્યારે આરોગ્ય શાખાની મૌન ભૂમિકા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં જ્યારે જિલ્લા પંચાયતના વહીવટદાર તરીકે ખુદ કલેક્ટર કાર્યભાર સંભાળી રહ્યા છે, ત્યારે પ્રબુદ્ધ નાગરિકોની માંગ છે કે, કલેક્ટર આ ગંભીર મુદ્દે તાત્કાલિક મધ્યસ્થી કરે. જો નગરપાલિકા ધારે તો માત્ર એક દિવસમાં અહીં સ્વચ્છતા કરાવી શકે તેમ છે. જો દવાખાનાની આસપાસ શુદ્ધ વાતાવરણ અને સ્વચ્છતા જળવાઈ રહેશે, તો જ આરોગ્ય સેવાનો સાચો હેતુ સાર્થક થશે. જિલ્લા વહીવટી તંત્ર વહેલી તકે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી લોકમાંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:13 am

બાપુની માનસ મુકુરાષ્ટક કથામાં માનવ મહેરામણ ઉમટ્યું:માધાપરની કથામાં સનાતન ધર્મનો મહિમા ગાન ગવાયો

માધાપર ખાતે બાપુની રામકથાના ત્રીજા દિવસે પણ મોટી સંખ્યામાં શ્રોતા રામાયણનું રસપાન કરવા ઉમટ્યા હતા. મોરારી બાપુની વ્યાસપીઠ પરથી માનસ મુકુરાષ્ટ્રક રામકથાનું આયોજન કરાયું છે. યજમાન ધીરેશ મનજી દબાસિયા પરિવાર દ્વારા આયોજિત રામકથામાં બાપુએ સનાતન ધર્મ પર ભાર મૂકી જણાવ્યું કે જે ગામ સનાતન ધર્મના રંગે રંગાયેલું હોય એ ગામ રહેવા સમાન. જાણવા છતાં અજાણ રહેવું એ મનના દર્પણને વરાળ લાગી જવા સમાન જણાવ્યું હતું. જેથી વૈચારિક દૃષ્ટિએ મન અને વિચારસરણીને સાફ અને સ્પષ્ટ રાખવી જોઈએ. માધાપર ગામમાં રામકથા દરમ્યાન 150 જેટલા પોલીસ કર્મીઓ અનેક જગ્યાએ વિશિષ્ટ સેવામાં તૈનાત કરવામાં આવ્યા છે અને સારી એવી સેવા પૂરી પાડવામાં આવી રહી છે. તો માધાપર તેમજ આસપાસના અનેક ગામોના સેવકો ભાઈ-બહેનો રસોડા વિભાગ અને અન્ય વિભાગોમાં નિષ્ઠાપૂર્વક સેવા પૂરી પાડી રહ્યા છે. માધાપર ગામની બહેનો પણ સતત ખડેપગે રહી સેવા આપી રહી છે તેમજ તેઓએ જણાવ્યું હતું કે અમે અમારી દરેક પ્રકારની સેવા સાથે ધર્મકાર્યો અને રાષ્ટ્ર હિતમાં તત્પર હાજર હોઈએ છીએ. 1971 લડાઈ વખતે માધાપરની બહેનો બહાદુરી બતાવી રાષ્ટ્ર ભાવના દર્શાવી હતી તો આ પણ અમારા ગામ દ્વારા આયોજન કરાયું છે તો એમાં પણ અમે સેવામાં કોઈ કસર બાકી નહીં રાખીએ. કથા અવસરે મહામંડલેશ્વર જાનકીદાસ બાપુ-ભાણતીર્થ કમીજલા, લઘુ મહંત સુરેશદાસ વીરાણી, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, મનોજભાઈ સોલંકી, દેવરાજભાઈ ગઢવી નાનો ડેરો, કલાકાર દિગુભા, લખમશીભાઈ ચાવડા, કૈલાસ સાંગલી, નાનાલાલ પટેલ, સ્વામી નિજાનંદ ગોતરકા બ્રહ્મચારી આશ્રમ સહિતના સંતો, મહંતો, વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા. બાપુએ નવનિર્માણ પામતા રઘુનાથજી મંદિરની મુલાકાત લઈ ખુશી વ્યક્ત કરીમાધાપરમાં 25 કરોડના ખર્ચે નિર્માણાધિન રઘુનાથજી મંદિરની મોરારી બાપુએ મુલાકાત લીધી હતી. રઘુનાથજી મંદિર અને ધિંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરાયું હતું. ટ્રસ્ટના વેલજીભાઈ ભૂડિયા, દેવશીભાઇ ભુડિયા પ્રકાશભાઈ ગોરસિયા, વિનોદભાઈ સોલંકી, વેલજી પ્રેમજી ભૂડીયા, રામજી પ્રેમજી ગોરસિયા, હરીશભાઈ ડબાસિયા, સરપંચ વાલજીભાઈ આહીર વગેરેએ બાપુનું સન્માન કર્યું હતું. બાપુને નકશો, ફોટો સાઇટ સાથે મંદિર વિશે માહિતી અપાઈ હતી. બાપુએ ખુશી વ્યક્ત કરી આશીર્વાદ સાથે શુભકામના પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:08 am

ભુજમાં જ મળશે GST બાયોમેટ્રિક સુવિધા:હવે વેપારીઓને બાયોમેટ્રિક માટે ગાંધીધામ જવાનો ધક્કો નહીં

અત્યાર સુધી GST રજીસ્ટ્રેશન માટે ભુજના અને આસપાસના વેપારીઓને ગાંધીધામ સુધી જવું પડતું હતું. જ્યાં તેઓની બાયોમેટ્રિક અને દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હતી. હવે આ પ્રક્રિયા સરળ બનાવવા માટે ભુજ ખાતે જ બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની સુવિધા થોડા સમયમાં શરૂ કરવાની તૈયારી હાથ ધરાઈ રહી છે. ભુજ સ્ટેટ GST કમિશનરેટ હેઠળ ભુજ, માંડવી, મુન્દ્રા, અંજાર, અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાના વેપારીઓ આવે છે. અત્યાર સુધી નવા GST નંબર માટે અરજી કરનાર વેપારીઓને બાયોમેટ્રિક પ્રક્રિયા માટે ગાંધીધામ જવું ફરજિયાત બનતું હતું, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં વધારો થતો હતો. વિશેષ નોંધનીય બાબત એ છે કે, ભુજ કચેરી સમગ્ર કચ્છ જિલ્લાની GST આવકમાં અંદાજે 30 ટકા જેટલો ફાળો આપે છે. ભુજમાં બાયોમેટ્રિક સુવિધા શરૂ થવાથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઝડપી બનશે અને વેપારને વધુ પ્રોત્સાહન મળશે, જે સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ મજબૂત બનાવશે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:05 am

ગુજરાતની 'વોટર વોરિયર' સ્કૂલ બની મહેસાણાની તક્ષશિલા:માત્ર 4 લાખમાં વેડફાતા વરસાદી પાણીમાંથી તૈયાર કર્યું પીવાલાયક પાણી, ચોટીલાની મુલાકાતે ગયા ને આઈડિયા સૂઝ્યો

મહેસાણા જિલ્લાની તક્ષશિલા શાળા ગુજરાતમાં જળ સંરક્ષણનું એક અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ બની છે. માત્ર 4 લાખ રૂપિયાના ખર્ચે અમલમાં મૂકાયેલા રેઈન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ દ્વારા આ શાળાએ વેડફાતા વરસાદી પાણીને પીવાલાયક બનાવી, 800થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને 8 મહિના સુધી શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડ્યું છે. ચોટીલાની મુલાકાત દરમિયાન મળેલા આઈડિયાને અમલમાં મૂકીને શાળા સંચાલકોએ દર્શાવ્યું છે કે, ઓછા ખર્ચે પણ પર્યાવરણ અને બાળકોના સ્વાસ્થ્ય માટે મોટી ક્રાંતિ શક્ય છે. આ પ્રયાસ અન્ય સ્કૂલો માટે પણ જળ સંરક્ષણનું એક મજબૂત મોડેલ બની રહ્યું છે. સામાન્ય ખર્ચમાં જ પીવાના પાણીના પ્રશ્નનો હલ લાવી દીધોઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં ઉનાળા દરમિયાન અમુક સ્કૂલોમાં પીવાના પાણી માટે બાળકોએ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે મહેસાણાના સરદારધામ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક શાળાએ રેઈન વોટર હાર્વેસ્ટિંગની મદદથી પીવાના પાણીના પ્રશ્નનો હલ લાવી દીધો છે. સ્કૂલ દ્વારા પટાંગણમાં જ 25-25 હજાર લિટરની કેપેસિટીના ચાર ટાંકા બનાવી 1 લાખ લિટર વરસાદી પાણીનો સંગ્રહ થાય છે, જેનો 900 વિદ્યાર્થીઓ 8 મહિના સુધી લાભ લઈ શકે છે. તક્ષશિલા સ્કૂલે સામાન્ય ખર્ચમાં જ વરસાદી પાણીના સંગ્રહની સુવિધા વિકસાવી અન્ય શાળાઓને પણ આ દિશામાં આગળ વધવા રાહ ચીંધી છે. ચોટીલાની મુલાકાતે ગયા ને આ ટાંકા જોઈને આઈડિયા સૂઝ્યોતક્ષશીલા સ્કૂલના શિક્ષક પુનિત ઠક્કરે આ પ્રોજેક્ટ વિશે વાત કરતા જણાવ્યું કે, વરસાદી પાણીના સંગ્રહ માટે સ્કૂલની આસપાસ 4 ટાંકા તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં સંગ્રહ થયેલા વરસાદી પાણીનો અમે પીવામાં ઉપયોગ કરીએ છીએ. આ 4 ટાંકા કુલ 1 લાખ લિટર વરસાદી પાણીનો સંગ્રહ કરી શકે છે, એક ટાંકાની કેપેસિટી 25 હજાર લિટરની છે. જૂના સમયમાં જે પ્રકારે કેપ્સૂલ આકારના બાયોગેસ પ્લાન્ટ તૈયાર થતા તેને કદાચ આપણે યાદ કરીએ તો તે પ્રકારના ટાંકા બનાવવામાં આવ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, અમે કેળવણીના ક્ષેત્રમાં હોવાના કારણે અલગ-અલગ જગ્યાએ મુલાકાત લેવાનું થાય તો ચોટીલાથી નજીક ઢેંઢુકી નામનું એક ગામ છે.ત્યાં ખૂબ જ સુંદર કામ થઈ રહ્યું છે. લોકમિત્રા ઢેંઢુકી એક ટ્રસ્ટ છે જેમાં ચૈત્નય ભટ્ટ અને તેની ટીમ દ્વારા આસપાસના 10 ગામોમાં આ પ્રકારે પાણીના ટાંકા જોવાના થયા કે જ્યા વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. ત્યાં પાણીની ખૂબ જ તંગી છે જેના કારણે ત્યા આ પ્રકારે પાણીની સમસ્યાનું સમાધાન લાવવામાં આવેલુ છે અને ત્યાંથી અમને આ મેસેજ મળ્યો કે આ પ્રકારે ટાંકા તૈયાર કરીને પીવાનું પાણી તૈયાર કરી શકીએ. કઈ રીતે કરે છે 1 લાખ લિટર વરસાદી પાણીનો સંગ્રહ?મહેસાણા GIDC વિસ્તારમાં આવેલી તક્ષશિલા સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા વરસાદી પાણીના સંગ્રહ માટે સ્કૂલના પટાંગણમાં જ 25-25 હજાર લિટરની ખાસ ટાંકી તૈયાર કરી છે. મહત્વની વાત એ છે કે, આ ટાંકી બનાવવા માટે લોખંડનો એકપણ જગ્યાએ ઉપયોગ કરાયો નથી. આ ટાંકીઓમાં વરસાદી પાણી લાવવા માટે સ્કૂલ બિલ્ડિંગની અગાશી પરથી ટાંકી સુધી પાઈપ ઉતારવામાં આવી છે. ટાંકીમાં પાણી પહોંચે તે પહેલા આ પાણી એક કુંડીમાં ફિલ્ટર પણ કરવામાં આવે છે અને ફિલ્ટર થયા બાદ જ પાણીનો સંગ્રહ થાય છે. આ સંગ્રહ કરાયેલા પાણીને ફરીથી એક પાઈપ દ્વારા અગાશી પર લઈ જવામાં આવે છે, જ્યાં એક ટાંકીમાં જરુરિયાત મુજબ પાણી સ્ટોર કરી પીવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતની સ્કૂલમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગનો પહેલીવાર ઉપયોગસ્કૂલમાં કે કોઈપણ બિલ્ડિંગમાં અગાશીમાં પડતું વરસાદી પાણી વેડફાઈ જતું હોય છે પરંતુ, મહેસાણા જિલ્લામાં તક્ષશિલા શાળાના સંચાલકોએ રેઈન વોટર હાર્વેસ્ટિંગનો ઉપયોગ કરી આ વેડફાતા પાણીનો સંગ્રહ શરૂ કર્યો છે. આ સ્કૂલે જિલ્લાની અન્ય સ્કૂલોને પણ જળ સંગ્રહ બાબતે રાહ ચીંધી છે. આ પ્રોજેક્ટ 8 વર્ષ પહેલા 4 લાખના ખર્ચે તૈયાર કર્યો હતો. આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે, ટાંકીમાં એકપણ જગ્યાએ લોખંડનો ઉપયોગ કરાયો નથી કારણ કે, તેના કારણે ટાંકા અવારનવાર ફાટી જતા હોય છે, જેથી લોખંડનો ઉપયોગ ન કરવાથી ભવિષ્યમાં આવતા આ પ્રકારના ખર્ચને ટાળી શકાય. અહીં વિદ્યાર્થીઓને નીચે બેસાડી પલાઠી વાળીને ભણાવવાની પરંપરાતક્ષશીલા સ્કૂલના શિક્ષક પરેશભાઈએ જણાવ્યું કે, અત્યારે 800થી વધુ વિદ્યાર્થીઓ અમારી સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. અમારી સ્કૂલમાં પહેલેથી જ બેન્ચીસની જગ્યાએ વિદ્યાર્થીઓને નીચે પલાંઠી વાળીને બેસાડીને ભણાવવામાં આવે છે. આ રીતે ભણાવવા પાછળનો વૈજ્ઞાનિક અભિગમ એવો છે કે, વિદ્યાર્થીઓ જ્યારે ભણે છે ત્યારે તેમના મન અને મસ્તિષ્કના ભાગને વધુ પ્રમાણમાં લોહી પહોંચી શકે તે જરુરી છે. તેના કારણે તેમનું ભણવા તરફ ધ્યાન એકાગ્ર થાય છે ને બીજુ આ રીતે બેસવાના કારણે તેમને અનેક પ્રકારની શારીરિક બીમારીઓથી પણ સુરક્ષા મળે છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, જો ક્લાસરુમમાં બેન્ચીસ ન હોય તો તમે સરળતાથી બાળકો સાથે ગ્રુપ એક્ટિવિટી કરવી હોય, સ્વાધ્યાય માટે બેસવું હોય, કોઈ વખતે કોઈ ડિઝાઇનિંગ માટે બેસવું હોય, કોઈ વખતે ચર્ચા કરવા માટે બેસવું હોય તો કરી શકો છો. આ સિવાય જો બેન્ચીસ હોય તો સ્વચ્છતાનો બહુ મોટો પ્રશ્ન અમને લાગે છે કે બેન્ચિસ હોય ત્યારે સફાઈ કરવી એકદમ અઘરી પડી જતી હોય છે. જ્યારે બેન્ચીસ ન હોવાથી વર્ગખંડ એકદમ ખાલી હોય છે કે, આખો વર્ગખંડ ખૂબ જ સુંદર રીતે સાફ થઈ શકે છે અને મચ્છર જેવા જે નાના જીવાણુઓ છે એ ક્યાંય સંતાવાની જગ્યા ન મળવાથી ત્યાંનું હાઇજેનિક જે લેવલ છે એ પણ મેઈન્ટેઈન રહે છે. ​વડોદરાની સ્કૂલોમાં થઈ હતી નોંધપાત્ર કામગીરી વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા CSR(કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી) હેઠળ જિલ્લાની 1000 જેટલી સરકારી સ્કૂલોમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગના સ્ટ્રકચર બનાવી નોંધપાત્ર કામગીરી કરી હતી. જો અન્ય જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા CSR ફંડમાંથી વરસાદી પાણીના સંગ્રહ માટે પ્રયાસ કરવામાં આવે તો ઉત્તમ કામગીરી કરી શકાય તેમ છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:05 am

રાજ્યમાં અફવા ફેલાવનાર સાયબર ક્રાઈમની લાલ આંખ:સરકારે કહ્યું- 'તમામ પેટ્રોલ પંપ પર જથ્થો મળતો રહેશે', સોમવારે વાહનચાલકોની લાંબી કતારો લાગી હતી; અફવાથી દૂર રહેવા અપીલ

ભાસ્કર અપીલ કરે છે કે, સ્ટોક ફૂલ છે અને પેનિક કરવાની જરૂર નથી. ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે પહેલાં ગેસ સિલિન્ડરની અછત અને 23 માર્ચ 2026ના રોજ રાજ્યભરમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ ફેલાઈ હતી. જેના કારણે પેટ્રોલ-ડીઝલ મળતું બંધ થઈ જશે તેવા ડરથી લોકોએ મોટા ભાગના પેટ્રોલ પંપ પર બે કિલોમીટર સુધી લાઇન લગાવીને વાહનોની ટાંકી ફુલ કરવા માટે પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોના પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગતા ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા હતા. જેના કારણે તાત્કાલિક પોલીસની મદદ લેવી પડી હતી અને પોલીસ અધિકારીઓ દ્વારા લાઉડસ્પીકર લગાવીને લોકોને શાંતિ જાળવવા વિનંતી કરાઈ હતી. આ ઉપરાંત પેટ્રોલ પંપના માલિકો દ્વારા પેટ્રોલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાની અને અછતની વાતો માત્ર પાયાવિહોણી અફવા હોવાની સ્પષ્ટતા કરાઈ હતી. પેટ્રોલ-ડીઝલ સહિતનું ઇંધણ ખૂટી પડ્યું હોવાના મેસેજ, ફોટા અથવા રીલ વાઇરલ કરનાર સામે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ કડક કાર્યવાહી કરશે. 'તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનો જથ્થો મળતો રહેશે'તો બીજી તરફ સ્થિતિ બગડવા લાગતા સરકાર પણ એકશનમાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને અફવામાં ન દોરાવવા અપીલ કરી હતી. રાજ્યમાં તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલનો જથ્થો મળતો રહે તે માટે સરકાર વ્યવસ્થા કરી રહી હોવાની વાત કરી હતી. 'વાહનચાલકોને અપીલ કે અફવામાં દોરાય નહીં'સંઘવીએ વધુમાં કહ્યું હતું કે, લોકોએ અફવામાં આવી પેટ્રોલ પંપ પર લાઈનો લગાવવાની જરુર નથી. અમદાવાદ પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે પણ વાહનચાલકોને અપીલ કરતા કહ્યું હતું કે, લોકો અફવામાં દોરાય નહીં. તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલનો જથ્થો મળતો રહેશે. અફવા ફેલાવનાર સામે સાયબર ક્રાઇમ કાર્યવાહી કરશેપેટ્રોલ-ડીઝલ સહિતનું ઇંધણ ખૂટી પડ્યું હોવાના મેસેજ, ફોટા અથવા રીલ વાઇરલ કરનાર સામે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ કડક કાર્યવાહી કરશે. આવા ભ્રામક સંદેશાઓથી ગભરાટ ફેલાતો હોવાથી જવાબદારો સામે ફરિયાદ નોંધી કાનૂની પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી સિનિયર અધિકારીઓએ આપી છે. શહેરીજનોને પણ આવી હરકત કરનારના મેસેજ વાઇરલ નહિ કરવા તાકીદ કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:00 am

વિધાનસભામાં આજે UCC બિલ રજૂ થશે:આ રહ્યો UCC ડ્રાફ્ટ, વાંચો શું નવો નિયમ આવી શકે; નાણાકીય વિધેયકો અને વિવિધ વિભાગોના પ્રશ્નોની ચર્ચા

ગુજરાત વિધાનસભાની આજની બેઠકમાં મહત્વપૂર્ણ ધારાસભાકીય કાર્યવાહી હાથ ધરાશે, જેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ ‘ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) બિલ’ રજૂ થવાનું છે. સાથે જ રાજ્યના નાણાકીય વ્યવસ્થાને લગતા ગુજરાત વિનિયોગ વિધેયક તથા વધારાના ખર્ચના વિધેયક પણ ગૃહમાં રજૂ થશે. બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થશે, જેમાં સામાન્ય વહીવટથી લઈને મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ-મકાન, નર્મદા કલ્પસર, ખાણ-ખનીજ, બંદરો અને માહિતી-પ્રસારણ સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નોના મંત્રીઓ જવાબ આપશે. UCCના ડ્રાફ્ટમાં વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક અને સમાન બનાવવા મહત્વપૂર્ણ જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે. નવી વ્યવસ્થામાં રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. જોકે, નોંધણી ન હોવા છતાં લગ્ન અમાન્ય ગણાશે નહીં, પરંતુ નોંધણી ન કરાવનારને રૂ.10-25 હજાર દંડનો સામનો કરવો પડી શકે છે. UCCના અમલ પહેલા થયેલા લગ્ન માટે પણ નોંધણીની ચોક્કસ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. સમાન વારસા હકમાં બિન-વસીયતીના મૃત્યુના કિસ્સામાં મિલકતની વહેંચણી માતા-પિતા(એક હિસ્સો), પત્ની/પતિ, બાળકો વચ્ચે સરખા ભાગે થશે. જ્યારે વારસાઇમાં વસિયત કરી ના હોય તો સંપત્તિમાં માતા-પિતા, બાળકો, પત્ની દરેકને સમાન હિસ્સો રહેશે. UCC ડ્રાફ્ટ વાંચવા અહીં ક્લિક કરો હિસાબ તથા ઓડિટ રિપોર્ટ પર ચર્ચા થશેત્યારબાદ 2023-24ના વિવિધ સરકારી નિગમો અને કંપનીઓના વાર્ષિક અહેવાલો, હિસાબ તથા ઓડિટ રિપોર્ટ પર ચર્ચા થશે, જેમાં ખાસ કરીને ફાઇનાન્શિયલ સર્વિસિસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ, ઉર્જા અને મેડિકલ ક્ષેત્રની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત થશે. કેટલાક અહેવાલોમાં નોંધાયેલી અનિયમિતતાઓ અંગે નિવેદન પણ રજૂ થવાની શક્યતા છે. ખાનગી વિધેયકો તથા પર્યાવરણ સંરક્ષણ અને ‘Mission LiFE’ જેવા મુદ્દાઓ પર ચર્ચા ઉપરાંત વિધાનસભાની સમિતિઓના અહેવાલો, મહત્વપૂર્ણ સરકારી વિધેયકો અને બિન-સરકારી કામકાજ હેઠળ ખાનગી વિધેયકો તથા પર્યાવરણ સંરક્ષણ અને ‘Mission LiFE’ જેવા મુદ્દાઓ પર ચર્ચા યોજાશે. સમગ્ર બેઠક રાજ્યના વિકાસ, નાણાકીય દિશા અને નીતિગત નિર્ણયોને કેન્દ્રમાં રાખીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:00 am

પાણી ખૂટ્યું, રસ્તો ભૂલાયો અને ચારેબાજુ ઘોર અંધારૂં:કચ્છના અફાટ નાના રણમાં 9 જિંદગીઓ ફસાઇ ને શરૂ થયું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન

શનિવારે રાત્રે સાડા નવની આસપાસ પૂર્વ કચ્છના આડેસર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ જાડેજા રૂટિન પ્રકિયામાં હતા ત્યાં અચાનક એમના ફોનમાં વોટ્સએપ મેસેજ આવ્યો. તેમણે મોબાઇલ હાથમાં લીધો. સ્ક્રીન પર એક નોટિફિકેશન હતું. 'કચ્છના નાના રણમાં માણસો ફસાઇ ગયા છે.' નોટિફિકેશન જોતાં જ જયદીપસિંહ સફાળા બેઠા થઇ ગયા. તરત જ આખો મેસેજ વાંચ્યો. તેમને મળેલો મેસેજ નીચે પ્રમાણે હતો. 'કચ્છના નાના રણમાં માણસો ફસાઇ ગયા છે. રસ્તો મળતો નથી. કુલ 9 જણ છે. ફસાયેલા લોકો સાથે પલાસવા ગામના 2 લોકો છે. આ બધા ટીકરથી પલાસવા આવતા હતા. રાતના અંધારામાં રસ્તો ભૂલી ગયા છે. અત્યારે ફોન લાગે છે પણ એમને રસ્તો મળતો નથી, દિશા ભૂલી ગયા છે. પોલીસ તંત્રને નમ્ર વિનંતી કે ભૂલા પડેલા લોકોને રસ્તો મળી જાય અને તે બધા સલામત રીતે પલાસવા ગામમાં પહોંચી શકે તેવું કરે. તેમની પાસે પીવાનું પાણી પૂરું થઇ ગયું છે, જમવાનું પણ નથી. એ લોકો મોબાઇલમાં વાત કરી શકે છે. તેમને પલાસવા-વેણુ ગામની દિશા મળતી નથી. જે રણના ભોમિયા હોય એ તાત્કાલીક 9 માણસોનો સંપર્ક કરીને એમને કચ્છના નાના રણમાંથી બહાર કાઢે તેવી નમ્ર વિનંતી છે. તેમની પાસે બોલેરો પીકઅપ ગાડી છે.' આ મેસેજમાં એક મોબાઇલ નંબર પણ આપેલો હતો. જેના પર કોન્ટેક્ટ કરવાનું કહેવાયું હતું. મેસેજ વાંચ્યા બાદ હેડ કોન્સ્ટેબલ જાડેજાએ તરત જ સાથી કર્મચારીઓને જાણ કરી. વોટ્સએપના જમાનામાં ક્યાંક અફવાઓ પણ ફેલાતી હોય છે એટલે તેમણે આ મેસેજની ખરાઇ કરવા માટે પલાસવા ગામે રહેતા સકતાભાઇ ભરવાડને ફોન કર્યો હતો. જયદીપસિંહ જાડેજાઃ સકતાભાઇ, આ શું મેસેજ આવ્યો છે?સકતાભાઇઃ હા સાહેબ, 9 લોકો ટિકરથી પલાસવા આવવા નીકળ્યા હતા પણ હજુ પહોંચ્યા નથી. રણમાં ક્યાંક ભટકી ગયા છે. આ સંવાદ બાદ શરૂ થઇ રાતના અંધારામાં અફાટ રણમાં ભૂલી પડેલી 9 માનવ જિંદગીઓને બચાવવાની કસોટી. રાત્રે 9:30 વાગ્યે શરૂ થયેલી કવાયત બીજા દિવસે વહેલી સવારે 4 વાગ્યે પૂરી થઇ અને આડેસર પોલીસે 9 લોકોને હેમખેમ બચાવી લીધા. દિવ્ય ભાસ્કરે આડેસર પોલીસ સ્ટેશન પીઆઇ વી.એન.સેંગલ અને રણમાં ફસાઇ ગયેલા રામભાઇ ભરવાડ સાથે આ ઘટના અંગે વાત કરી હતી. 7 લોકો ટીકરથી પલાસવા ગામે કપાસ વીણવા આવવાના હતા. જેમને લેવા માટે પલાસવાના રામભાઇ પોતાની બોલેરો પિકઅપ ગાડી લઇને ગયા હતા. રામભાઇ ખેતી અને પશુપાલન કરવાની સાથોસાથ ડ્રાઇવિંગ પણ કરે છે. શોર્ટ કટમાં 30થી 40 કિલોમીટર થાયઆડેસર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એ.સેંગલે કહ્યું કે, ટીકરથી પલાસવા જવા માટે રણમાં શોર્ટ કટ રસ્તો છે. જે 30થી 40 કિલોમીટરનો થાય છે. જો ફરીને જઇએ તો લગભગ 150 કિમી થાય. ચોમાસામાં આ શોર્ટ કટ રસ્તો બંધ થઇ જાય છે. સાંજે 7:30 વાગ્યે રસ્તો ભટક્યારામભાઇ પલાસવાના જ રહેવાસી હોવાથી તે આ શોર્ટ કટ રસ્તા વિશે જાણતા હતા. તેઓ સાંજે ટિકરથી નીકળ્યાં હતા અને રણમાં ભટકી ગયા એ સમયે લગભગ 7:30 વાગ્યા હતા. આના પછી તેમણે પોતાની જાતે જ રસ્તો શોધવાના ઘણા પ્રયત્નો કર્યા. એમની પાસે મોબાઇલ હતો પણ તેમાં નેટવર્ક નહોતું આવતું. રસ્તો ન મળ્યો તો ઊભા રહી ગયા જ્યારે કવરેજ આવ્યું ત્યારે પલાસવાના લોકલ માણસને જાણ કરી કે અમે આ રીતે રસ્તો ભટકી ગયા છીએ. અમને તાત્કાલીક મદદની જરૂર છે. આના પછી એ લોકલ માણસે હેડ કોન્સ્ટેબલ જાડેજાને જાણ કરી અને હેડ કોન્સ્ટેબલે પીઆઇ સેંગલને માહિતી આપી હતી. આ દરમિયાન નવેય લોકો એક જગ્યાએ ઊભા રહી ગયા હતા. પોલીસે 2 ટીમ બનાવીપીઆઇ કહે છે કે, અમે તરત જ પોલીસની 2 ટીમો બનાવી. એક ટીમમાં હું, મારા જમાદાર અને એક ડ્રાઇવર હતા. બીજી ટીમમાં જમાદાર બાબુભાઇ ચૌધરી, જમાદાર જયદીપસિંહ, વનરાજસિંહ હતા. એ લોકો બીજી ગાડી લઇને પલાસવા ગામે ગયા. મેસેજ મળ્યો ત્યારે ખબર હતી કે એ લોકો ભૂખ્યા-તરસ્યા હશે. જેથી તૈયારીના ભાગરૂપે અમે સ્ટાફને કહ્યું હતું કે રણમાં જે ગાડી જાય એની સાથે પાણી, ખોરાક લઇ જવો. કોઇ નિશાની નહોતીપોલીસ સામે ફક્ત રણમાં ભૂલા પડેલા લોકોને જ શોધવાનો પડકાર નહોતો, બીજો એક પડકાર પણ હતો. પીઆઇ સેંગલે જણાવ્યું કે, રણમાં ભૂલા પડવાનો પ્રશ્ન ઘણો પેચીદો હોય છે. આ રણ 300 કિલોમીટરનું મેદાન છે જેમાં માણસને શોધવાનો હોય છે. રણમાં કોઇ પર્વત, ડુંગર, ઝાડ નથી હોતા એટલે કઇ દિશામાં જવું છે અથવા ભૂલો પડેલો માણસ ક્યાં હશે એ જાણી શકાતું નથી. પહેલો પ્રશ્ન એ હતો કે જો આ લોકો નહીં મળે તો બીજા દિવસે સવારે તેમને ડિહાઇડ્રેશન શરૂ થઇ જશે કેમ કે સીધો તડકો અને સફેદ રણ શરીરને અસર કરે છે. કેવી રીતે શોધખોળ શરૂ કરી?પોલીસે પોતાની સાથે સ્થાનિક રસ્તાના જાણકાર હોય તેવી 3 વ્યક્તિઓને અલગ અલગ ગાડીમાં રાખ્યા હતા. આ 3 વ્યક્તિઓના ખેતર રણની બાજુમાં જ હતા. બધાએ સાથે મળીને નક્કી કર્યું હતું કે જેમને પણ ખોવાયેલા લોકો મળે તે બીજાને સાઇન આપે. બન્ને ટીમે પ્લાન અનુસાર ચારેય દિશામાં ફરવાનું હતું. પહેલા સીધા જઇને ડિસ્ટન્સ કવર કરીને મોટો યુ ટર્ન લઇને પાછા આવે. ફરી પાછા એ જ રીતે નિકળે. આમ આખો વિસ્તાર કવર કરતાં હતા. શોધખોળ દરમિયાન પોલીસની ગાડી ફસાઇપીઆઇ સેંગલે જણાવ્યું કે, અમે પાંચેક કલાક સુધી એ લોકોને શોધ્યા હતા. રાત સુધી ન મળે તો વહેલી સવારથી ડ્રોન ઉડાડવાની પણ અમારી તૈયારી હતી. જો કે પલાસવાથી ત્રીસેક કિલોમીટર રણમાં અંદર ગયા ત્યારે રાત્રે અઢી-ત્રણ વાગ્યે આ લોકો અમને મળી ગયા હતા. અમે અલગ-અલગ દિશાઓમાં અંદર ફર્યા હતા ત્યારે સૌથી પહેલાં જમાદારની ટીમને મળ્યા હતા. એ લોકોની ગાડી નહોતી ફસાઇ પણ પોલીસની ગાડી ફસાઇ ગઇ હતી. જેને ટ્રેક્ટરથી ખેંચીને બહાર કાઢવામાં આવી હતી. અંતે તેમણે કહ્યું કે, અમારા હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ બહુ જ ખુશ થઇ ગયા હતા અને મને કહ્યું કે સર, આ લોકો મળી ગયા એ સારું થયું. નહીં તો બીજા દિવસે બહુ જ ખરાબ હાલત થાત. દિવ્ય ભાસ્કરે આ રેસ્ક્યૂ ઓપરેશનમાં સામેલ હેડ કોન્સ્ટેબલ બાબુભાઇ સાથે પણ વાત કરી હતી. તેમણે રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન કેવી મુશ્કેલી પડી તેની માહિતી આપી. વીડિયો કોલ કરીને લોકેશન મોકલવા સમજાવ્યુંતેઓ કહે છે કે,અમે રણમાં ગયા પણ મોબાઇલ નેટવર્કનો ઇશ્યૂ હતો. જે વ્યક્તિનો નંબર મળ્યો હતો તેનો કોન્ટેક્ટ નહોતો થતો. કોન્ટેક્ટ થાય તો અવાજ કપાય, વ્યવસ્થિત વાતચીત નહોતી થતી. ભૂલા પડેલા લોકો ભણેલા નહોતા, તેમને વોટ્સએપની એટલી સમજણ પડતી નહોતી એટલે કરંટ લોકેશન કેવી રીતે મોકલવું તે વીડિયો કોલ કરીને સમજાવ્યું. એક તો અંધારું હતું, રસ્તો મળતો નહોતો. વરસાદના લીધે કાદવ કીચડ હતું. કઇ બાજુ જવું એ દિશા નહોતી સૂઝતી. જ્યારે પોલીસની ટીમને લોકેશન મળ્યું ત્યારે જોયું તો એવો કોઇ રસ્તો નહોતો કે તેમના સુધી પહોંચી શકાય. કાદવના કારણે ગાડી પણ સ્લીપ થઇ જતી હતી. રસ્તામાં પોલીસની ગાડી જ્યારે ફસાઇ ત્યારે તેને બહાર કાઢવામાં એકથી દોઢ કલાક જેટલો સમય લાગ્યો હતો. ટોર્ચની લાઇટે બચાવ્યાબાબુભાઇએ કહ્યું કે, પલાસવા ગામના લોકો સાથે અમે આગળ ચાલતા ગયા. ટોર્ચનું અજવાળું એમની તરફ કરીને કહ્યું કે તમને કોઇ લાઇટ દેખાય છે ત્યારે તેમણે સામેથી લાઇટની ડીપર મારી. જેથી અમને ખબર પડી કે અહીં કોઇ માણસો છે એટલે અમે ત્યાં જઇને બધાને બચાવ્યા. રામભાઇ ભરવાડે રણમાં ભૂલા પડવાની ઘટના અંગે દિવ્ય ભાસ્કરને માંડીને વાત કરી.તેમણે કહ્યું કે, ટિકર ગામના પટેલ ખેડૂતને ત્યાં કામ પૂરૂં થઇ ગયું હતું એટલે તેમણે મને કહ્યું કે તમારે કાલા વીણવા શ્રમિકો જોઇતા હોય તો લઇ જજો. હું આ રણના રસ્તેથી ટેવાયેલો જ હતો. ટિકરથી સાંજે 5:30 વાગ્યા આસપાસ નીકળ્યા હતા. મને એમ હતું કે અંધારૂં થશે તો પણ હું પહોંચી જઇશ પણ હું રસ્તો ભટકી ગયો. મારૂં મગજ ભટકી ગયું હતુંઃ રામભાઇરસ્તો ભટકી ગયાની કેવી રીતે ખબર પડી તે અંગે તેમણે કહ્યું કે, સાંજે 6:30 કે 6:45 વાગ્યા આસપાસ અમે સામે કાંઠે જવા માટે કોશિષ કરતાં હતા પણ કાનમેર તરફ નીકળી ગયા. કઇ બાજુ જવું એ સૂઝ્યું જ નહીં.રણ કયું હતું એ મને ખબર નહોતી, પાટણ બાજુનું હતું કે કાનમેર બાજુનું હતું કે પલાસવા બાજુનું હતું? મારૂં મગજ ભટકી ગયું. રામભાઇએ હવે નક્કી કરી લીધું છે કે તેઓ રાત્રે ક્યારેય રણમાં નહીં જાય.તેમણે કહ્યું કે, અમે તો 7 વર્ષથી અવરજવર કરીએ છીએ પણ આ રસ્તો કેમ ભૂલ્યો એ ખબર નથી. પહેલાં પણ હું અંધારામાં ગયો છું પણ આવું પહેલીવાર આવું થયું છે. હવે મેં નક્કી કર્યું છે કે રણમાં દિવસે જ જવું, ક્યારેય રાત્રે જવું નહીં. અત્યારે બધા શ્રમિકો પલાસવામાં મારા ખેતરમાં છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:00 am

BJPના ગ્રુપમાં અડધી રાત્રે અશ્લીલ વીડિયોની લિન્ક આવી:પેટ્રોલ પંપની લાઈનોએ પોલીસને દોડતી કરી; કોંગ્રેસના નેતાનો દીકરો દારૂ પીને પકડાયો, અંતે સમાધાન!

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:00 am

એક જ ગોદડીમાં પ્રેમી-પ્રેમિકાની લાશ અને ખૂની ખેલ:અવાવરૂં સરકારી બિલ્ડિંગમાં એ સાંજે શું બન્યું હતું? તપાસમાં સામે આવ્યું એક રહસ્યમયી યુવતીનું નામ

રાજપીપળામાં કરજણ નદીના કિનારે આવેલી એક જૂની સરકારી અવાવરૂં બિલ્ડિંગ.... જ્યાં દિવસે જવામાં પણ લોકો ખચકાતા હોય તેવી આ બિલ્ડિંગમાં એક સાંજે 3 મિત્રો ગયા અને તેમની આંખ સામે જે દૃશ્ય હતું તે જોઇને તેમનું લોહી થીજી ગયું. એક જ ગોદડીમાં પ્રેમિકા અને પ્રેમીની લાશ પડી હતી. લોહી સૂકાઇ ગયું હતું અને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારેલા હતા. ન કોઇ સાક્ષી હતું કે ન કોઇ CCTV. પોલીસ માટે આમ તો આ એક બ્લાઇન્ડ કેસ હતો પણ એક એવી કડી મળી જેનાથી આખા કેસનું પાસું પલટી ગયું. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના આજના એપિસોડમાં વાંચો કે પ્રેમ અને મનમાં ઘર કરી ગયેલા વહેમે કેવી રીતે એક પ્રેમી અને પ્રેમિકાનો જીવ લઇ લીધો. કરજણ નદીના કોતરોમાં આવેલા દંડી સ્વામીના મોટા મઠમાં એક ભાઇ ઊભા હતા ત્યાંથી તેમણે સાંજે એક યુગલને જતાં જોયું. યુગલ રોજેરોજ જતું હોવાથી એમને જોઇને ભાઇને કંઇ નવાઇ ન લાગી અને તે પોતાના કામમાં વ્યસ્ત થઇ ગયા. આ ઘટનાને 2 દિવસ વિતી ગયા. તારીખઃ 22 જુલાઇ, 2021સાંજના સાતેક વાગ્યા હતા. શહેરની રોજિંદી ઘટમાળથી દૂર રાજપીપળા જેવા નાના ટાઉનમાં મજૂરી કામ કરતાં 3 મિત્રો કરજણ નદીના કિનારે આંટો મારવા નીકળ્યા હતા. ચાલતા ચાલતા બ્રિજ તરફ ગયા. જૂના અખાડા પાસે આવતા ભાવેશ નામનો મિત્ર લઘુશંકા કરવા માટે નજીકમાં આવેલા એક જૂના ખંડેર જેવા બિલ્ડિંગ આગળ ગયો. તેને ત્યાં દુર્ગંધ આવી. જેથી તેણે બીજા બે મિત્રો અમિત અને દિગાને પણ બોલાવ્યા. તેમને પણ કંઇક દુર્ગંધ આવી. ત્રણેયે એકબીજા સામે જોયું અને જે દિશામાંથી દુર્ગંધ આવતી હતી તે દિશામાં જવાનું નક્કી કર્યું. અંધારું થવા આવ્યું હતું પણ ત્રણેય હિંમત કરીને આગળ વધ્યા. દુર્ગંધનું સ્થાન શોધતા શોધતા બિલ્ડિંગના ધાબા પર પહોંચ્યા. એ બિલ્ડિંગ જૂની સરકારી ઇમારત હતી. તેમાં અંદર રહેવા લાયક કશું નહોતું. અંધારૂં એટલું પણ નહોતું થયું કે કંઇ ન દેખાય. ધાબા પરનું દ્રશ્ય જોઇને ત્રણેયની આંખો ફાટી ગઇ. એક ગોદડીમાં સ્ત્રી અને પુરુષની સૂતેલી હાલતમાં લાશ પડી હતી. પુરુષના ખભા પર સોનલ લખેલું હતું. બંનેના માથા નીચે લોહી સૂકાયેલું હતું. લાશ પણ કોહવાઇને સાવ સૂકાઇ ગઇ હતી અને તેમાં જીવાત પડી ગઇ હતી. ભાવેશ ડરતા ડરતા લાશની નજીક ગયો. ચહેરા જોવાની અને ઓળખ કરવાની કોશિષ કરી પણ નિષ્ફળતા મળી. આના પછી પોતાના બેય મિત્રો તરફ એક નજર કરીને બોલ્યો.... આપણે પોલીસને જાણ કરી દઇએ. ભાવેશે અચાનક આવું કહેતાં બન્ને મિત્રો ઘડીભર તો વિચારમાં પડી ગયા. પોલીસ, પૂછપરછ, કેસ, કોર્ટ-કચેરીના ધક્કા આવું બધું તેમની નજર સામે તરવરી ગયું. પહેલાં તો તેમને ક્ષણભર માટે ના પાડી દેવાનું મન થઇ ગયું પણ પછીની ઘડીએ તેમનો વિચાર ફરી ગયો. તેમને થયું કે પોલીસને તો કહેવું જ જોઇએ એટલે બન્ને મિત્રોએ પણ હા પાડી દીધી. મિત્રોનો સાથ મળતાં ભાવેશે તરત 100 નંબર ડાયલ કર્યો. એ સમયે આજની જેમ 112 નંબર અસ્તિત્વમાં નહોતો આવ્યો. ભાવેશે પોલીસને જાણ કરી કે 2 લાશ સંદિગ્ધ હાલતમાં ઇજાના નિશાન સાથે પડી છે. ડબલ મર્ડર થયું હોવાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ, ડોગ સ્ક્વોડ, FSL સહિત જુદી-જુદી ટીમ પણ તરત ઘટનાસ્થળે પહોંચી ગઇ. પ્રાથમિક દ્રષ્ટિએ જ ખ્યાલ આવી ગયો કે આ ડબલ મર્ડરનો કેસ છે. બંનેના માથા પર બોથડ પદાર્થથી હુમલો કરાયો છે. નાના એવા નગરમાં ડબલ મર્ડર થાય એટલે ચારેતરફ તેની ચર્ચા થવા લાગે. આ કિસ્સાંમાં પણ એવું જ થયું. ચારેતરફ ડબલ મર્ડરની જ વાત થવા લાગી. હવે પોલીસે તપાસ શરૂ કરી. ધાબાની વચ્ચોવચ્ચ પાથરેલી ગોદડીમાં પડેલી બંને લાશના મોં તથા માથામાં ઇજાઓ થયેલી હતી. એ સિવાય બીજે ક્યાંય કોઇ ઇજા દેખાતી નહોતી. થોડે દૂર રસોડાંનો તથા અન્ય સામાન વ્યવસ્થિત રીતે પડેલો હતો. તેમાંથી કંઇ વેરવિખેર હાલતમાં નહોતું. લગભગ 48 કલાક પહેલાં હત્યા થયેલી હશે. બન્ને લાશ કોહવાઇ ગયેલી હોવાથી ચહેરા પરથી ઓળખ થાય તેમ નહોતું. પોલીસે લાશની તલાશી લીધી તો પુરૂષના ખિસ્સામાંથી કોર્ટમાં હાજર રહેવા માટેના સમન્સની ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠી લાશની ઓળખ કરવા માટે મહત્વની સાબિત થવાની હતી. પોલીસે સમન્સ પરથી કેસની વિગતો કઢાવી તો ખબર પડી કે મૃતક પુરૂષ હસમુખ વસાવા છે અને જે સ્ત્રી છે તેનું નામ વાસંતી છે. વાસંતી હસમુખની પ્રેમિકા હતી. પોલીસે એડ્રેસ કઢાવ્યું તો બન્ને કરજણ બ્રિજ નીચે રહેતા હોવાની જાણ થઇ. જ્યાંથી લાશ મળી તે બિલ્ડિંગ અવાવરું જગ્યાએ હતી. આસપાસ કોઇ CCTV હોવાનો પ્રશ્ન જ નહોતો. જેથી પોલીસ પાસે કોઇ કડી નહોતી. હવે પોલીસ પાસે ફક્ત એક જ રસ્તો બચ્યો હતો- આસપાસના લોકો. ઘટનાસ્થળની સાવ આસપાસ એક આશ્રમ સિવાય અન્ય કોઇ વસતિ નહોતી. જે વસતિ હતી તે એકાદ કિલોમીટર દૂર હતી. પોલીસે વસતિમાં જઇને લોકોના નિવેદન લેવાના શરૂ કર્યા. જ્યાં સામાન્ય મજૂરી કરીને જીવતા લગભગ 15 મજૂરો રહેતા હતા. તેમાંથી કોણ આરોપી છે એ મળતું નહોતું. સ્વાભાવિક છે કે પુરાવા ન હોય તો કોણ માનવાનું છે? એ ઝૂંપડપટ્ટીના લોકો આ બંનેને ઓળખતા હતા પરંતુ તેમની પાસેથી બનાવ અંગે કામ લાગી શકે તેવી કોઇ ખાસ માહિતી નહોતી. દરમિયાન પોલીસને હસમુખ વિષે જાણવા મળ્યું કે તે નાનો હતો ત્યારે જ તેની માતા સાથે ઝગડો થતાં પિતાએ માતાની હત્યા કરી નાખી હતી. પિતા જેલમાં જતાં હસમુખ તેના મોટાભાઇ સાથે મોસાળ જતો રહ્યો હતો અને ત્યાં જ મોટો થયો હતો. મોટા થયા બાદ બન્ને ભાઇઓ પોતાની રીતે જીવન જીવતા હતા. તેનો ભાઇ અન્ય ગામમાં ખેતમજૂરી કરતો હતો. જ્યારે હસમુખ રખડતું જીવન જીવતો અને કચરો વિણવાનું કામ કરતો હતો. પોલીસને એ પણ ખબર પડી કે વાસંતીએ આ પહેલા સાગબારાના પાટલામહુ ગામના યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેનાથી તેને 5 સંતાન હતા. થોડા વર્ષો સાથે રહ્યાં બાદ બન્ને છૂટા પડી ગયા હતા. વાસંતી પતિ અને બાળકોને છોડીને રાજપીપળા ખાતે તેના પિતા સાથે રહેવા લાગી હતી. ત્યાર બાદ બે વર્ષ પહેલાં હસમુખ સાથે મુલાકાત થઇ હતી અને તેની સાથે રહેવા લાગી હતી. એ દરમિયાન વાસંતીના પહેલા પતિએ પણ બીજા લગ્ન કરી લીધા હતા. પોલીસને બાતમીદાર દ્વારા જાણવા મળ્યું કે વાસંતીનો પહેલો પતિ બનાવના 2-3 દિવસ પહેલાં રાજપીપળા આવ્યો હતો. ઘણીવાર આવા કેસોમાં ભૂતપૂર્વ પતિ કે પત્નીનો હાથ હોય છે. જેથી પોલીસે તરત એ દિશામાં તપાસ ચલાવી અને વાસંતીના પૂર્વ પતિને પૂછપરછ કરવા માટે બોલાવ્યો. તેના પૂર્વ પતિએ પોલીસને કહ્યું.... 'હું તો મારી પત્ની સાથે કરિયાણાનો સામાન લેવા આવ્યો હતો ત્યાં એક ઓળખીતાએ મને વાસંતી હસમુખ સાથે રહેતી હોવાનું કહ્યું હતું. મારે તેની સાથે કોઇ સબંધ નહોતા એટલે તેને મળવાનો કોઇ સવાલ જ નહોતો. હું ત્યાંથી જતો રહ્યો હતો.' પોલીસને લાગ્યું કે તે સાચું બોલી રહ્યો છે. જેથી ફરી એકવાર નિરાશા પ્રાપ્ત થઇ. લોકોના જે નિવેદન લીધા હતા તેમાંથી પણ કંઇ મળ્યું નહીં એટલે કેસ બ્લાઇન્ડ જ હતો. બ્લાઇન્ડ કેસ એટલે એવો કેસ જેમાં કોઇ પગેરૂં કે કડી મળતી ન હોય. પોલીસની ભાષામાં આવા કેસને બ્લાઇન્ડ કેસ કહે છે. કદાચ કોઇ કડી મળી જાય એ માટે પોલસી સતત લોકોની પૂછપરછ કરતી હતી. પૂછપરછનો બીજો દિવસ પોલીસ માટે એક આશાનું કિરણ લઇને આવવાનો હતો. બીજા દિવસની પૂછપરછ દરમિયાન પોલીસનું ધ્યાન એક વાત પર ગયું કે ગઇકાલે અહીં જેટલા લોકો હતા તેના કરતાં એક વ્યક્તિ ઓછી હતી. અહીં રહેતા લોકોમાંથી એક યુવતી દેખાતી નહોતી એટલે તે પોલીસના રડારમાં આવી ગઇ. તપાસની સોય યુવતી તરફ વળી. પોલીસે તેના પરિવારની પૂછપરછ કરી તો પરિવારે કહ્યું કે એ તો 80 કિલોમીટર દૂર એક સગાને ત્યાં ગઇ છે. જો કે અચાનક યુવતીનું આ રીતે જવું કંઇ સામાન્ય નહોતું. પરિવારના જવાબ બાદ પોલીસની શંકા વધુ પ્રબળ બની. પોલીસે બાતમીદારોને એક્ટિવ કર્યા અને યુવતી વિશે વધુ માહિતી મેળવવાનું કીધું. બાતમીદારોએ બાતમી આપી કે ગુમ થયેલી યુવતી ધર્મેશ ઉર્ફે ધનો નામના યુવાન સાથે રહેતી હતી. ધર્મેશને દસેક દિવસ પહેલાં મૃતક હસમુખ સાથે ઝઘડો થયો હતો. જો કે બન્ને વચ્ચેના ઝઘડાની જાણ કોઇને નહોતી. પોલીસે વધુ તપાસ કરાવી તો ખબર પડી કે ધર્મેશને આ યુવતીને હસમુખ સાથે આડા સંબંધ હોવાની આશંકા હતી જેના કારણે જ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આટલી માહિતી મળ્યા બાદ પોલીસે હવે યુવતીની શોધખોળ શરૂ કરી. તેને પકડીને પોલીસ સ્ટેશન લવાઇ અને પૂછપરછ કરી. પહેલાં તો યુવતીએ મને કંઇ ખબર નથી તેવું રટણ ચાલુ રાખ્યું પણ પોલીસે ફેરવી-ફેરવીને સવાલો પૂછતાં યુવતીની ચાલાકી કામ ન લાગી. યુવતીએ પોલીસને એવું કહ્યું કે જેનાથી આખો કેસ ચપટી વગાડતાંમાં જ ઉકેલાઇ જવાનો હતો. યુવતીએ પોલીસને શું કહ્યું હતું?હસમુખ અને વાસંતીની હત્યા કોણે કરી હતી?બન્નેની હત્યા પાછળનું કારણ શું હતું? આ તમામ સવાલોના જવાબ જાણવા માટે જુઓ ગુજરાત ક્રાઇમ ફાઇલનો બીજો એપિસોડ.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:00 am

કચ્છ મ્યુઝિયમનું થશે વિસ્તરણ:શહેરમાં ઐતિહાસિક ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ સંકુલમાં કચ્છ મ્યુઝિયમના વધુ ત્રણ વિભાગો શરૂ થશે

150 વર્ષ જૂનું ઐતિહાસિક કચ્છ મ્યુઝિયમનું હવે વિસ્તરણ થવા જઈ રહ્યું છે. મુખ્ય સંકુલની બાજુમાં આવેલા ઓલ્ફ્રેડ હાઈસ્કૂલના બિલ્ડિંગમાં પણ આગામી મહિનામાં માંડવીનો વહાણવટા ઉદ્યોગ, કચ્છની ઔષધીય વનસ્પતિ ડાયરોમા અને કચ્છની જીવન વૈવિધ્યતા દર્શાવતી ગેલેરી ખુલી મુકાશે. મ્યુઝિયમના ક્યુરેટર મહેન્દ્રસિંહ સુરેલાએ જણાવ્યું કે ગુજરાતના સૌથી જૂના આ સંગ્રહાલય પાસે કિંમતી અને મૂલ્યવાન નમુનાઓ છે જે પ્રદર્શિત કરી શકાય તે માટે ઓલફ્રેડ હાઈસ્કૂલના મોટા વર્ગખંડ આ પ્રદર્શન માટે યોગ્ય છે. મોટા હોલમાં સેટ અપ થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓને જોતા આગામી મહિનાઓમાં અહીં ડિસ્પ્લે ગોઠવવામાં આવશે. સંકુલના પ્રથમ માળે ત્રણ ખંડોમાં પ્રદર્શન તરીકે મુકાશે તેમાં મુખ્યત્વે માંડવીના ખારવા સમાજ દ્વારા આધુનિક ટેકનોલોજી વગર પણ દેશ દેશાવરમાં વહાણવટા થતાં તે અંગેની માહિતી અને વહાણના મોડેલ, કચ્છની વિવિધ જનજાતિઓના ડાયરોમા તેમજ અઢીસોથી વધુ ઔષધીય વનસ્પતિ શાસ્ત્રમાંથી સંકલિત કરવામાં આવેલા નમૂનાઓ પ્રદર્શનમાં મુકાશે. આ માટે બિલ્ડીંગની જાળવણી માટેની જેની જવાબદારી છે તે રાજ્યના માર્ગ અને મકાન વિભાગને વરસાદી પાણીનો અટકાવ થઈ શકે તેવું યોગ્ય કામ કરીને બિલ્ડીંગ સુરક્ષિત કરી દેવામાં આવે તો અમે આ વિસ્તરણ કરી શકીએ. વડનગર સ્થિત ‘પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય’માંથી ક્યુરેટર મહેન્દ્રસિંહ સુરેલાને કચ્છ બદલીનો હુકમ થયા બાદ ચાર્જ સંભાળતાની સાથે જ વિકાસ કરવા માટે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 5:58 am

છાત્રોને AI અંગે માર્ગદર્શન અપાયું:યુનિ.માં સંશોધન ક્ષેત્રે AI ટૂલ્સના પ્રભાવ અંગે સેમિનારમાં વિદ્યાર્થીઓ વાકેફ થયા

ડિજિટલ ટેકનોલોજીના વર્તમાન યુગમાં સંશોધન કાર્યને વધુ સચોટ અને ઝડપી બનાવવા માટે એઆઈ અનિવાર્ય બની રહ્યું છે. આ વિષયને કેન્દ્રમાં રાખીને કચ્છ યુનિવર્સિટીના કમ્પ્યુટર સાયન્સ વિભાગ દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો હતો. કુલપતિ ડો. મોહન પટેલે સંશોધનમાં AI ના વધતા પ્રભાવ અને તેની ઉપયોગિતા વિશે વાત કરી હતી. તેમણે AI નો ઉપયોગ કરતી વખતે સાવધ રહેવાની સલાહ આપવાની સાથે જિલ્લામાં આ ટેકનોલોજીના માધ્યમથી કઈ નવી તકો રહેલી છે તે અંગે વિસ્તૃત દિશાનિર્દેશ આપ્યો હતો. સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત iOSys Pvt. Ltd. ના CEO દીપક વોરા (ગાંધીધામ) એ સંશોધનમાં AI ટૂલ્સના વ્યાવહારિક ઉપયોગ અંગે સમજણ આપી હતી. આણંદ કૃષિ યુનિવર્સિટીના ડો. ક્ષિતિજ શુક્લાએ સંશોધન પદ્ધતિમાં AI ના પ્રયોગો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સેમિનારમાં ChatGPT, ડેટા એનાલિટિક્સ, ઓટોમેશન અને AI આધારિત વિવિધ રિસર્ચ સાધનોના ઉપયોગ વિશે પ્રેક્ટિકલ જાણકારી અપાઈ હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પી.એચ.ડી. વિદ્યાર્થીઓ, સંશોધકો અને વિજ્ઞાન શાખાના ફેકલ્ટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કમ્પ્યુટર સાયન્સ વિભાગના વડા અને કાર્યક્રમના કો-ઓર્ડિનેટર ડૉ. મહેશ મુલાણીના માર્ગદર્શન હેઠળ મનીષ દાસોટીયા, જય જોશી, દ્રષ્ટિ ગોસ્વામી, પાર્થ ઠક્કર, ખ્યાતી રાઠોડ અને સીમરન શર્મા સહિતના સભ્યો તથા વિદ્યાર્થીઓએ જહેમતઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 5:56 am

ભુજમાં 1993 વિદ્યાર્થીઓ આપશે ગુજકેટ:ગુજકેટની પરીક્ષા માટે સ્થળ સંચાલકો, ઓબ્ઝર્વરની નિમણૂંક

આગામી તા.29 માર્ચના ગુજકેટ પરીક્ષા યોજવામાં આવશે.જિલ્લામાં ભુજના 10 પરીક્ષા કેન્દ્રો પર 1993 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ત્યારે ભુજમાં તૈયારીઓની સમીક્ષા કરાઈ હતી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મહત્વની પરીક્ષા ગુજકેટના સુચારૂ સંચાલન અર્થે કલેક્ટર કચેરીએ બેઠકનું આયોજન કરાયું હતું. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે સૌને પરીક્ષાની ગંભીરતા સમજાવી પારદર્શક રીતે પરીક્ષા યોજાય તેના પર ભાર મૂક્યો હતો. પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ પરીક્ષાના તમામ તબક્કે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી પરીક્ષા સફળ બનાવવા સૂચનો કર્યાં હતાં. વિદ્યાર્થીઓ નિર્વિઘ્ને પરીક્ષા આપી શકે તે માટે જાહેરનામાં દ્વારા પ્રતિબંધાત્મક આદેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે. 3 સેશન ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર અને ગણિતમાં યોજાનારી આ પરીક્ષામાં સ્થળ સંચાલકો તેમજ ઓબ્ઝર્વરની નિમણૂંક કરી દેવાઇ છે. ઝોનલ અધિકારી પરેશભાઈ અજાણી અને ટીમે વ્યવસ્થા સંભાળી હતી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 5:55 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:અફવાનું ‘ઈંધણ’ અને ભુજ આખું પેટ્રોલ માટે કતારમાં!

ઈરાન વિરુધ્ધ અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને પગલે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે. ભારત પાસે અંદાજે 70 દિવસનો પૂરતો સ્ટોક હોવાના આશ્વાસન છતાં સોમવારે બપોર બાદ ભુજ સહિત કચ્છ જિલ્લામાં અફવાઓના કારણે પેટ્રોલ-ડીઝલ મેળવવા માટે પેટ્રોલ પંપ પર અફરાતફરીનું દ્રશ્ય સર્જાયું હતું. બપોરે આશરે 4 વાગ્યા પછી પેટ્રોલ પંપ પર ઇંધણનો જથ્થો ઓછો હોવાનું સોશિયલ મીડિયામાં સંદેશાઓ ફેલાતા લોકો કામધંધા છોડીને તાત્કાલિક પેટ્રોલ ભરાવવા દોડી આવ્યા હતા. ભુજના સ્ટેશન રોડ, વાણિયાવાડ, મુન્દ્રા રોડ, આઇયા સર્કલથી લઈને મીરજાપર અને માધાપર વિસ્તાર સુધીના લગભગ તમામ પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને શહેરના મધ્યમાં વાણિયાવાડ વિસ્તારમાં જનતાઘર સામે આવેલા પંપ પર લાંબી કતારો લાગી ગઈ હતી. ભીડ વધતા લોકો લાઇનમાં ઉભા રહેવા બદલે ઝડપથી પેટ્રોલ મળી જાય તે માટે દ્વિચક્રી વાહનો વચ્ચે ઘુસાડતા ગેરવ્યવસ્થા સર્જાઈ હતી. એક સમયે પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી જોવા મળી હતી, જેને કાબૂમાં લેવા સંચાલકો અને કર્મચારીઓએ લોકોને શાંતિ જાળવવા અને વ્યવસ્થિત લાઇનમાં ઉભા રહેવા અપીલ કરી હતી. સ્ટેશન રોડ પર કેટલાક પંપ પર ‘સ્ટોક ખતમ’ હોવાનું કહીને થોડા સમય માટે પુરવઠો બંધ રાખવામાં આવ્યો હોવાની ચર્ચાઓ પણ ફેલાઈ હતી. આ અંગે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તરફથી અધિક સચિવ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે સતત સંપર્કમાં છે. કોઈપણ પ્રકારની અછત નથી અને લોકો ભયમાં આવી અનાવશ્યક ભીડ ન કરે તેવી અપીલ કરવામાં આવી છે. આજે પેટ્રોલ પંપ માલિકો સાથે મીટીંગ પણ રાખવામાં આવી છે. સૂત્રો અનુસાર, પંપ માલિકોને ચેક દ્વારા કરવામાં આવતા પેમેન્ટને બદલે રોકડ ચુકવણી કરવાની શરતને કારણે શનિ અને રવિવાર એમ બે દિવસ ટેન્કરો નીકળી શક્યા નહોતા. જોકે મંગળવારે બપોર સુધી તમામ ટેન્કરો પહોંચતા પુરવઠો સામાન્ય થઈ જશે. ભાસ્કર ઇનસાઇડટેન્કર મોડા આવતા અફવા ફેલાઈએક પંપ માલિકે જણાવ્યું કે, અમદાવાદ રાજકોટમાં અફવા ફેલાતા ભુજમાં પણ લોકો પેટ્રોલ પંપ પર ધસી આવ્યા હતા. શનિવારે ઈદની રજા અને રવિવાર રજાનો દિવસ હોવાથી જામનગર થી આવતા ટેન્કર મોડા પડ્યા હતા. સ્પીડ લિમિટ 50 કિમી પ્રતિ કલાક હોવાથી કચ્છ સુધી પહોંચતા વાર લાગે માટે આ સમયગાળાને કારણે પેટ્રોલની અછતની અફવા ઉડી હતી. સોમવારે રાત્રે ટેન્કર પહોંચી આવશે માટે આજે અછત નહીં હોય.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 5:54 am

લૂંટ:રિલ બનાવતા 2 મિત્રને એકલા જોઈ ગઠિયા પહોંચ્યા, ચપ્પુ બતાવી મોબાઇલ લૂંટી લીધો

કરચિયા-રણોલી રોડ પર રિલ્સ બનાવતા બે મિત્રોને એકલા જોઈને ગઠિયાઓ મોપેડ લઈને પહોંચી ગયા હતા અને ચપ્પુ બતાવી યુવકનો ફોન લૂંટીને ફરાર થઈ ગયા હતા. જવાહરનગર પોલીસે આ મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ કરચિયાની ટાટા કોલોની ખાતે રહેતો દિલીપ દીપક બૈઠા ગુજરાત રિફાઇનરીમાં ટાટા કંપનીના પ્રોજેક્ટ હેલ્પર તરીકે નોકરી કરે છે. રવિવારે રજાનો દિવસ હોવાથી દિલીપ તેના મિત્ર રોશન શાહ નાસ્તો કરવા ચાલતા-ચાલતા નીકળ્યા હતા. બંને મિત્રો કરચિયા-રણોલી રોડ પર સોશિયલ મીડિયા માટે રિલ્સ બનાવવા ઊભા હતા. અચાનક બપોરે 12 વાગે બે ગઠિયાઓ મોપેડ પર ત્યાં આવી પહોંચ્યા હતા. એક ગઠિયો દિલીપનો ફોન ઝૂંટવીને ભાગવા લાગ્યો હતો. જોકે દિલીપે તેનો હાથ પકડી લીધો હતો. જોકે અન્ય ઈસમે દિલીપને ચપ્પુ બતાવી હાથ છોડવાનું કહ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને પગલે દિલીપ ડરી ગયો હતો અને તેને તે ઈસમનો હાથ છોડી દીધો હતો. બંને ગઠિયા દિલીપનો ફોન ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. જવાહરનગર પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસે મોબાઇલ લૂંટનાર બોબીસિંહ ક્રિપાલસિંહ સરદાર (રહે. રણોલી ગામ) અને મીતેષ ઉર્ફે કાલુ જગદીશ પરમાર(રહે, રણોલી)ને રણોલી બ્રિજ પાસેથી પકડી પાડ્યા હતા. પોલીસે તેમની પૂછપરછ કરતાં તેમણે કહ્યું હતું કે, બે યુવક ફોનથી ફોટો પાડતા હતા, તે સમયે પોતાને રૂપિયાની જરૂર હોઇ અને આજુબાજુ કોઈ ન હોઇ તેનો લાભ લઈને ચપ્પુ બતાવીને ફોન લૂંટી લીધો હતો. પોલીસે બંનેની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 5:30 am

પોતાનું ડીજે શરૂ કરવા યુવકનું કારસ્તાન:સ્પીકર સહિતની વસ્તુઓનું ક્વોટેશન કઢાવ્યા બાદ ગોડાઉનમાંથી યુવકે ચોરી કરી

ધનિયાવી રોડ પર આવેલાં ડીજેના 2 ગોડાઉન પર જઈને યુવકે સામાન જોયા બાદ ક્વોટેશન કઢાવીને પોતાનું ડીજે લેવાના નામે સાગરીત સામે મળીને જુદા-જુદા સામાનની ચોરી કરી હતી. બંને જણાએ 2 ગોડાઉનમાંથી 4.81 લાખના સામાનની ચોરી કરી હતી. કપુરાઈ પોલીસે ગુનો નોંધ્યો હતો. શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સાંઈનાથનગરમાં દિલીપ વસાવા ધનિયાવી રોડ પર માતાજી ફાર્મમાં એક ગોડાઉનમાં ત્રિનેત્ર સાઉન્ડ નામે ડીજે બનાવવાનું કામ કરે છે. 4 ફેબ્રુઆરીએ રાત્રે તેમના ભાઈ અતુલભાઈ ગોડાઉનને લોક કરીને રાત્રે 10 વાગે ઘરે ગયા હતા. બીજા દિવસે અતુલભાઈએ ગોડાઉનમાં પહોંચી ડીજેનો સામાન ટેસ્ટિંગ માટે બહાર કાઢતા હતા ત્યારે 2 એમ્પ્લિફાયર, મીડનાં 12 સ્પીકર સહિત કુલ 3.42 લાખનો સામાન મળ્યો નહોતો. તસ્કરોએ ગોડાઉનના પતરાના દરવાજાના સ્ક્રૂ ખોલી અંદર પ્રવેશ્યા બાદ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. બીજી બાજુ માંજલપુરના મેલા માસ્તરના કૂવા ખાતે રહેતા જયવંતસિંહ સોલંકી પાર્ટનરશિપમાં ધનિયાવી રોડના બ્લીસ ફાર્મ પાસે એક ગોડાઉનમાં વી.સી. ઓડિયોના નામે ડીજે બનાવે છે. 16 માર્ચે તેમના પાર્ટનર વસીમભાઈ ગોડાઉનને લોક કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે ગોડાઉન ખોલી જોતાં એમ્પ્લિફાયર, સાઉન્ડ લિમિટર, ખંજરી, ઈલેક્ટ્રિક વાયર સહિત રૂા.1.39 લાખના સામાનની ચોરી થઈ હોવાનું જણાયું હતું. આ બંને ડીજેના ગોડાઉમાંથી તસ્કરો રૂા.4.81 લાખની મતાની ચોરી કરી ગયા હતા. કપુરાઈ પોલીસે બંને મામલે ગુનો નોંધીને તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી. ક્વોટેશન કઢાવવાના બહાને ગોડાઉનમાં સામાન જોઈ લેતોક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, યુવકે પોતાનું ડીજે શરૂ કરવું હતું. તે અગાઉ ડીજે ક્ષેત્રે નોકરી પણ કરતો હતો. જેથી તે ડીજે ખરીદવા માટે અલગ-અલગ ગોડાઉને ફર્યો હતો અને ક્વોટેશન કઢાવ્યાં હતાં. ત્યારબાદ સામાન જોઈને ચોરી કરવાનું આયોજન કર્યું હતું. યુવકે ચોરી માટે સાગરીતની પણ મદદ લીધી હતી. વિવિધ સામાનની ચોરી કરીને તેણે ધીમે-ધીમે આખી સિસ્ટમ એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. એક મહિનામાં એક ગોડાઉનમાં ચોરી કરી બીજા મહિને અન્ય ગોડાઉનમાં ચોરી કરી હતી. બે યુવક ઝડપી પડાયા છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 5:30 am

વિરોધ:સ્પ્રિંગવુડ રેસિડન્સીમાં મુસ્લિમ સમાજના વ્યક્તિને મકાન વેચતાં રહીશોનો વિરોધ

ઓલ્ડ પાદરા રોડ પર આવેલી સ્પ્રીંગવુડ રેસીડન્સી-2ના રહિશોએ સોસાયટીમાં રહેતા રહિશે મુસ્લિમ કોમના વ્યક્તિને મકાન વેચતાં કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કર્યો છે. જ્યારે અન્ય કોમના વ્યક્તિઓ વારંવાર સોસાયટીમાં આવીને તણાવભર્યો માહોલ ઊભો કરતા હોવાની પણ રજૂઆત કરી છે. ઓલ્ડ પાદરા રોડ પર આવેલી સ્પ્રીંગવુડ રેસીડન્સી-2 એસોસિયેશનના રહિશોએ જણાવ્યું હતું કે, અમારી અને આનંદવન સોસાયટી પહેલા એક જ સોસાયટી ગણાતી હતી. પરંતું પાછળથી આનંદવન સોસાયટી અલગ પડી હતી. બંને સોસાયટીનો અશાંતધારામાં આવે છે. આનંદવન સોસાયટીમાં આવેલા મકાન નંબર ડી-2 અતરીયાદેવી પોપટલાલ પુરોહિતનું છે. આ મકાન તેમને અન્ય કોમના વ્યક્તિને વેચ્યું છે. રહિશોનો આક્ષેપ છે કે, આ વ્યક્તિ વારંવાર સોસાયટીમાં આવીને હિંદુઓના અન્ય ઘરમાં આવીને સ્ત્રીઓને પૂછે છે કે તમારે ઘર વેચવાનું છે? જેથી તણાવનો માહોલ ઊભો થયો છે. સ્થાનિક રહિશોએ કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું છે કે, અમારી સોસાયટીમાં અન્ય કોમના લોકો-બ્રોકરની અવરજવર અટકાવવા તેમજ અશાંતધારાની પરવાનગી અટકાવવા અને જો કોઈ વેચાણ દસ્તાવેજ થઈ ગયો હોય તે તેને રદ કરવા માટે અરજી કરી છે. સ્થાનિક રહિશોએ આ અંગે અગાઉ બે વખત નાયબ કલેક્ટર અને જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. અન્ય કોમના રહીશને મકાન ન આપવા પોલીસને પણ જણાવ્યું હતુંસ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, સોસાયટીમાં 1 વર્ષ પહેલાં પોલીસ પૂછપરછ કરવા આવી હતી કે, તમારી પાડોશમાં મુસ્લિમ કોમના પરિવાર રહેવા આવે તો તમને કોઈ વાંધો છે? જેમાં અમે ના પાડી હતી. તેમ છતાં અન્ય કોમના લોકો સોસાયટીમાં વારંવાર આવીને પૂછપરછ કરી વાતાવરણ ડહોળે છે. તાંદલજા રોડની મુક્તિનગર સોસાયટીમાં પણ રહીશો નારાજશહેરના તાંદલજા રોડ પર આવેલી મુક્તિનગર સોસાયટીમાં રહેતા રહીશે અન્ય કોમના બ્રોકરનો સંપર્ક કર્યો હતો અને તે વ્યક્તિઓએ સોસાયટીમાં આવીને મકાન માલિકને વધુ કિંમત આપીને મકાન ખરીદવા માટે જણાવ્યું છે. જ્યારે આ મકાન અન્ય કોમના વ્યક્તિને વેચાણ ન આપવામાં આવે તે માટે પણ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 5:26 am

પેપર ચેકિંગ:નવા પરીક્ષા ભવનમાં એપ્રિલથી તમામ ફેકલ્ટીની ઉત્તરવહીની ચકાસણી કરાશે

એમ.એસ. યુનિવર્સિટીમાં નવો બનેલો પરીક્ષા વિભાગ એપ્રિલથી કાર્યરત કરાશે. નવા પરીક્ષા ભવનમાં ચાલુ વર્ષથી તમામ ફેકલ્ટીની ઉત્તરવહી ચકાસાશે. જ્યારે કોઇ પણ ફેકલ્ટીમાં ચકાસણી કરી શકશે નહિ. અત્યાર સુધી કોમર્સ, આર્ટ્સ, સાયન્સની ઉત્તરવહી હેડ ઓફિસના સેનેટ હોલમાં ચકાસણી કરાતી હતી. અન્ય ફેકલ્ટી દ્વારા ઉત્તરવહીની ચકાસણી તેમની ફેકલ્ટીમાં કરાતી હતી. યુનિવર્સિટીમાં 5 વર્ષે બનાવાયેલો પરીક્ષા વિભાગ કાર્યરત થયો છે. યુનિવર્સિટી હેડ ઓફિસના પાછળના ભાગે નવું બિલ્ડિંગ બનાવાયું છે, જે માત્ર પરીક્ષા વિભાગની તમામ કામગીરી કરવા તૈયાર કરાયું છે. જ્યાં 10થી વધુ રૂમોમાં ઉત્તરવહીની ચકાસણી કરાશે. યુનિવર્સિટીમાં અત્યાર સુધી પરીક્ષા વિભાગનું અલગથી બિલ્ડિંગ ન હોવાથી મોટાભાગની ફેકલ્ટી દ્વારા વાર્ષિક પરીક્ષાનું મૂલ્યાંકન પોતાના સ્તરે કરાતું હતું. જોકે હવે તમામ ફેકલ્ટીઓએ ઉત્તરવહી ચકાસણી કરવા પરીક્ષા વિભાગમાં આવવું પડશે. અધ્યાપકો પરીક્ષા વિભાગમાં આવીને મૂલ્યાંકન કરશે. યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી કોમર્સ, આર્ટ્સ તથા સાયન્સની ઉત્તરવહી ચકાસણી કરવા સેન્ટ્રલ એસેસમેન્ટ સેલની રચના કરાતી હતી. આ 3 ફેકલ્ટીની જ 1 લાખ કરતાં વધારે ઉત્તરવહીની ચકાસણી હેડ ઓફિસ ખાતે કરાતી હતી. આર્ટ્સ, કોમર્સ સહિતની તમામ ફેકલ્ટીની ઉત્તરવહી પરીક્ષા વિભાગમાં ચકાસાશે 3 લાખ ઉત્તરવહીની ચકાસણી કરાય છેએમ.એસ. યુનિવર્સિટીની 14 ફેકલ્ટીઓમાં 45 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ તમામ વિદ્યાર્થીની 3 લાખ જેટલી ઉત્તરવહી થાય છે, જેની ચકાસણી પરીક્ષા ભવનમાં કરવામાં આવશે. યુનિવર્સિટીમાં છેલ્લાં 50 વર્ષથી ફેકલ્ટીમાં જ ઉત્તરવહીની ચકાસણી કરાતી હતી3 ફેકલ્ટીઓ છોડીને યુનિવર્સિટીમાં અન્ય જેટલી પણ ફેકલ્ટીઓ આવેલી છે તે તમામ ફેકલ્ટીઓની ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી જે તે ફેકલ્ટીમાં જ કરવામાં આવતી હતી. હવે એક જ જગ્યા પર ઉત્તરવહી ચકાસણી કરાશે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 5:23 am

શક્તિની આરાધના:માંડવી સ્થિત મા અંબાના ઐશ્વર્ય-પોષણના સ્વરૂપની પૂજા કરી ભવ્ય અન્નકૂટ ધરાવાયો

શહેરમાં ચૈત્ર નવરાત્રી અને શ્રી પંચમીના પવિત્ર અવસરે સોમવારે માંડવી વિસ્તારમાં આવેલા અંબા માતાના મંદિરે વર્ષોની પરંપરા મુજબ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી પંચમીના દિવસે માતાજીને ઐશ્વર્ય અને પોષણના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. આ ખાસ દિવસે અંબા માતાના મંદિરે માતાજીને વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સાંજે 5થી 8 યોજાયેલા આ અન્નકૂટ દર્શનનો મોટી સંખ્યામાં ભક્તોએ ભાવપૂર્વક લાભ લીધો હતો. આ વર્ષે દુર્ગાષ્ટમી અને રામનવમી આગામી તારીખ 26 માર્ચ, ગુરુવારના રોજ ઉજવાશે. છઠ્ઠા નોરતે આદ્યશક્તિના મા કાત્યાયની સ્વરૂપની પૂજા થશે​નવરાત્રિના છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની પૂજા અર્ચના કરાશે. જે કન્યાઓના લગ્નમાં અવરોધ આવતા હોય, તેમણે આજના દિવસે દેવી કાત્યાયનીની આરાધના કરવી જોઈએ. મા કાત્યાયની નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ અને વરદાયની દેવી છે. તેઓ શત્રુઓનો નાશ કરી સાધકને મનવાંછિત ફળ પ્રદાન કરે છે. શાસ્ત્રોમાં વર્ણવેલા વૃતાંત અનુસાર, કાત્યાયન ઋષિની પુત્રી હોવાને કારણે તેમનું નામ કાત્યાયની તરીકે વિખ્યાત થયું હતું. જ્યોતિષી સત્યમ જોષીએ જણાવ્યું હતુ કે, ​મા ભગવતીએ દુષ્ટોના સંહાર માટે કાત્યાયની અવતાર ધારણ કર્યો હતો. તેમણે મહિષાસુરનો વધ કર્યો હોવાથી તેઓ મહિષાસુર મર્દિની તરીકે પણ ઓળખાય છે. દેવીનું સ્વરૂપ અત્યંત તેજસ્વી છે. તેમને ચાર ભુજાઓ છે, જેમાં એક હાથમાં કમળનું પુષ્પ, બીજા હાથમાં તલવાર, ત્રીજો હાથ અભય મુદ્રામાં અને ચોથો હાથ વરદ મુદ્રામાં છે. મા કાત્યાયની સિંહ પર સવાર છે. ​ભગવતી કાત્યાયનીનું પૂજન કરવાથી સ્ત્રીઓને લગ્ન સંબંધી અવરોધોમાંથી રાહત મળે છે. ચૈત્રી શુક્લ પંચમીનો પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખ અને મહત્વ

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 5:19 am

આંગણવાડીની પહેલ:બાળકોમાં વાંચન વધે તે માટે પુસ્તક વાંચી લીધા બાદ પાડોશીને આપવાનો નિયમ

સમા-સાવલી રોડ પર આવેલી અગોરામોલ આંગણવાડીમાં બાળકો માટે શહેરની એકમાત્ર અનોખી લાઇબ્રેરી કાર્યરત છે. 5 વર્ષથી આ લાઇબ્રેરી એક નવતર અભિગમ સાથે ચલાવાઈ રહી છે. વોર્ડ નં-3ના પૂર્વ કોર્પોરેટર ડો. રાજેશ શાહે આ આંગણવાડી દત્તક લીધી અને તેમના દ્વારા જ આ વ્યવસ્થા ઊભી કરાઈ છે. ​આ લાઇબ્રેરીની વિશેષતા એ છે કે, અહીંથી પુસ્તક લઈ ગયા બાદ તેને પરત કરવાનું હોતું નથી, પરંતુ વાંચ્યા પછી બાજુમાં રહેતા અન્ય પરિવારને આપવાનું હોય છે. ત્યાર બાદ તે પાડોશી અન્ય કોઈને વાંચવા માટે પુસ્તક આપે છે. આ રીતે અંદાજે 500 જેટલા પુસ્તકો અત્યારે વોર્ડ નં-3ના પરિવારોમાં ફરી રહ્યા છે. ​બાળકો મોબાઈલથી દૂર રહે, પરિવારમાં વાંચનવૃત્તિ વધે અને બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા આશયથી આ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. આંગણવાડીના બાળકો મેળવશે ટેક-શિક્ષણ: ડૉ. રાજેશ શાહે બે કોમ્પ્યુટર દાનમાં આપ્યાંઆંગણવાડીમાં હવે બાળકોને કોમ્પ્યુટર દ્વારા શિક્ષણ અપાઈ રહ્યું છે. બાળકો કોમ્પ્યુટર પર ડ્રોઇંગ બનાવી રહ્યા છે, જેથી તેઓ ટેકનોલોજીથી માહિતગાર થાય અને તેમનો મહાવરો વધે. ઉલ્લેખનીય છે કે, બાળકોના શિક્ષણ માટે ડૉ. રાજેશ શાહ દ્વારા બે કોમ્પ્યુટર દાનમાં આપવામાં આવ્યાં છે. રાજ્યની 53 હજાર જેટલી આંગણવાડીમાં અગોરામોલ આંગણવાડી પ્રથમ ક્રમેરાજ્ય સરકારે જાહેર કરેલા યશોદા એવોર્ડમાં શહેરની અગોરા મોલ આંગણવાડીએ રાજ્યની 53 હજાર આંગણવાડીમાંથી પ્રથમ ક્રમ મેળવ્યો છે. બાળકોને શિક્ષણ આપવાની શ્રેષ્ઠ પદ્ધતિ બદલ આ સન્માન અપાયું છે. આ એવોર્ડ અંતર્ગત આંગણવાડી કાર્યકરને રૂ. 51 હજાર અને તેડાગર ધર્મિષ્ઠાબેન પરમારને રૂ. 31 હજારનું રોકડ ઇનામ આપી પુરસ્કૃત કરાયા હતા.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 5:18 am

હાર્ટ એટેકથી શ્રદ્ધાળુનું મોત:નર્મદા પરિક્રમા માટે ગયેલા આસિસ્ટન્ટ મેનેજરનું હૃદયરોગના હુમલાથી મોત

વાઘોડિયા રોડ પર રહેતા ખાનગી કંપનીના આસિ.ક્વોલિટી કંટ્રોલ મેનેજર મિત્રો સાથે નર્મદા પરિક્રમા કરવા ગયા હતા. દરમિયાન રામપુરા પાસે તેઓ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવ મળ્યું કે, હૃદયરોગના હુમલાથી તેઓનું મોત થયું છે. વાઘોડિયા રોડ પર આવેલી અમીધારા સોસાયટીમાં આવેલા લકુલેશ ફ્લેટમાં રહેતા 52 વર્ષીય યજ્ઞેશ શાહ ખાનગી કંપનીમાં આસિસ્ટન્ટ ક્વોલિટી કંટ્રોલ મેનેજર તરીકે નોકરી કરતા હતા. રવિવારે તેઓ કંપનીના મિત્રો સાથે નર્મદા પરિક્રમા કરવા માટે ગયા હતા. દરમિયાન તિલકવાડાથી આગળ રામપુરા પાસે તેઓને ચક્કર આવતાં ઢળી પડ્યા હતા. જેને કારણે તેમના મિત્રોએ તેમને સીપીઆર પણ આપ્યો હતો. ત્યારબાદ તેઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પરિક્રમા દરમિયાન કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી?

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 5:15 am

પેટ્રોલનું પેનિક:પેટ્રોલ પંપો પર લાઈનો, રોજનું 8 લાખ લિટર પેટ્રોલ માત્ર 5 કલાકમાં વેચાયું

ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટી જવાની અફવા સોશિયલ મીડિયામાં વહેતી થતાં પેટ્રોલપંપો પર સાંજે 5 વાગ્યાથી શરૂ થયેલી વાહનોની કતારો રાતે 10 વાગ્યા બાદ પણ યથાવત્ હતી. પેટ્રોલપંપના સંચાલકોએ જણાવ્યા મુજબ 1 પેટ્રોલપંપ પર રોજ સરેરાશ 5 હજાર લિટર પેટ્રોલ વેચાતું હોય છે. વડોદરામાં 163 પેટ્રોલપંપ છે. જેમાંથી દૈનિક 8 લાખ લિટર પેટ્રોલ રોજ વેચાય છે. જોકે અફવા બાદ 8 લાખ લિટર પેટ્રોલ માત્ર 5 કલાકમાં જ વેચાઈ ગયું હતું. સ્ટોક ખૂટી પડતાં 7થી વધુ પંપો બંધ કરવા પડ્યા હતા. જોકે મોડી રાતે ટેન્કરો આવતાં કેટલાક પંપ ફરી ચાલુ થયા હતા. વડોદરામાં પેટ્રોલ પૂરાવવા માટે પંપો પર પડેલી લાઈનોને જોઈને કલેક્ટર તંત્ર પણ સફાળું જાગ્યું હતું. પુરવઠા અધિકારી ગીતા દેસાઈએ શહેર-જિલ્લામાં પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત ન હોવાથી પેનિકમાં ન આવવા જણાવ્યું હતું. જ્યારે પેટ્રોલપંપના મેનેજરોએ પણ લોકોને કાલે પણ પેટ્રોલ મળશે તેમ કહ્યું હતું. જોકે અફવાઓથી પ્રેરાઈને લોકો વાહનોની ટાંકી ફુલ કરાવતા જોવા મળ્યા હતા. ઓઇલ કંપનીઓએ એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરતાં પુરવઠો મોડો પહોંચતાં સ્ટોક ખૂટ્યોપેટ્રોલપંપ એસોસિયેશને જણાવ્યું હતું કે, પહેલાં પેટ્રોલપંપના માલિકોને ક્રેડિટ પર માલ મળતો હતો. જેમાં પેટ્રોલ-ડીઝલનાં ટેન્કર આવે તે પછી રૂપિયા ચૂકવવાના હતા. ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે ઓઈલ કંપનીઓ તરફથી એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ લાગુ કરાઈ છે. જેમાં પહેલાં પેમેન્ટ કરો, પછી જ પેટ્રોલ-ડીઝલની ટેન્કર કંપનીમાંથી નીકળે છે. ત્યારે 21 માર્ચે ઈદ અને 22 માર્ચે રવિવાર આમ બે દિવસ કંપની અને બેંકમાં રજા હતી. જેથી પેટ્રોલપંપના માલિકો દ્વારા ઓર્ડર તો આપ્યો, પરંતુ તેનું પેમેન્ટ (આરટીજીએસ) સોમવારે બપોરે 12 વાગ્યા દરમિયાન થયું હતું. જેથી પુરવઠાની ટેન્કરો આવતાં વાર લાગી હતી. સ્ટોક પૂરો થતાં આ પેટ્રોલ પંપ બંધ અફવાથી પંપ પર લાઇનો લાગી રહી છેખોટી અફવાને કારણે પેટ્રોલપંપ પર લાઈનો લાગી રહી છે. ગેસનો બોટલ પણ મળી ગયો છે. જોકે ફક્ત બે-ત્રણ દિવસની વાર લાગે. કોઈ સમસ્યા ઊભી થાય તેમ લાગતું નથી. લોકોએ ચિંતિત ન થવું જોઈએ. > કાંતિ પારેખ, સયાજીપાર્ક, આજવા રોડ પેટ્રોલ પૂરું થાય તે પૂર્વે ભરાવી લઈએ બધી જગ્યાએ સાંભળ્યું છે કે, પેટ્રોલની અછતને લઈને પેટ્રોલ પંપ પર લાઇનો લાગી રહી છે. પેટ્રોલ પૂરું થઈ જાય તે પહેલાં વાહનમાં ભરાવી લઈએ અને સેફ થઈ જઈએ. જોકે તે ચાલશે એટલું ચાલશે. હવે બધે વિચારીને જવું પડશે, લોકડાઉન જેવી સ્થિતિ થશે. > રાજેન્દ્ર ખત્રી, વૈકુંઠ સોસાયટી, ખોડિયાર નગર પેટ્રોલનું વેચાણ 3 ગણું થઈ ગયુંમારા પેટ્રોલપંપ પર સરેરાશ 14 હજાર લીટર જેટલું પેટ્રોલનું વેચાણ થાય છે. જોકે પેનીકના કારણે 3 ગણું એટલે કે 30 હજાર લીટરથી વધુ પેટ્રોલનું વેચાણ થઈ ગયું છે. > મેહુલ પટેલ, પ્રમુખ, પેટ્રોલ પંપ એસોસિયેન

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 5:13 am

યુદ્ધની અસર:મેડિકલ-સર્જિકલ સાધનોના ભાવ 15 ટકા વધ્યા

ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ભારતમાં પણ વર્તાઈ રહી છે. સૌપ્રથમ એલપીજી સિલિન્ડરને કારણે શહેરમાં અરાજકતા ફેલાઈ હતી. જોકે હવે યુદ્ધની અસર મેડિકલ ક્ષેત્રે પણ જોવા મળી રહી છે. મેડિકલની સર્જિકલ ડિસ્પોઝેબલ સાધનો ઉપરાંત સર્જિકલ સાધનો વિદેશથી ઈમ્પોર્ટ કરાય છે. જેને કારણે તમામ વસ્તુ પર 15 ટકાનો ભાવ વધારો હાલમાં જોવા મળી રહ્યો છે, તેવું સર્જિકલ એસોસિયેશનના અગ્રણી કેતન શાહે જણાવ્યું હતું. કંપનીઓ હોલસેલના વેપારીઓને ભાવ વધારા સાથેના ભાવપત્રકો મોકલી રહ્યા છે. જેની સીધી અસર દર્દી પર થશે. ઉલ્લેખનીય છે કે, મોટાભાગનાં મેડિકલ અને સર્જિકલ સાધનો પ્લાસ્ટિકમાંથી બને છે, તેને કારણે આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે, કારણ કે પ્લાસ્ટિકના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. શહેરમાં 300 હોસ્પિટલો છે, જ્યાં દરરોજ સરેરાશ 5 થી 8 સર્જરી કરવામાં આવે છે. સયાજી હોસ્પિટલમાં પણ એક મહિનામાં અલગ-અલગ વિભાગમાં 800 અને ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં 500થી વધારે સર્જરીઓ કરવામાં આવે છે. આમ આખા શહેરમાં દર મહિને 10 હજારથી વધારે સર્જરીઓ કરવામાં આવે છે. હાલમાં થયેલા ભાવ વધારાની અસર આ તમામ સર્જરીઓ પર જોવા મળશે. સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવોઃડો.ઐયરસયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.રંજન ઐયરે જણાવ્યું હતું કે, પહેલેથી જ દરેક વિભાગને કહેવામાં આવ્યું છે કે, દરેક વસ્તુનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. હોસ્પિટલની તમામ ખરીદી સરકારી પોર્ટલ પરથી કરવામાં આવી રહી છે. જોકે હાલમાં હોસ્પિટલ પાસે પૂરતો સ્ટોક છે, દર્દીઓને કોઈ તકલીફ નહીં થાય. હાલમાં જૂના સ્ટોક પ્રમાણે ભાવ લેવા IMAની અપીલઆઈએમએના પ્રમુખ ડો.મિતેષ શાહે જણાવ્યું હતું કે, હાલમાં ભાવ વધારો થઈ રહ્યો છે. જોકે તમામ તબીબોને કહેવામાં આવ્યું છે કે, હાલમાં તેમની પાસે જે સ્ટોક છે ત્યાં સુધી ભાવ વધારો ન કરવો જોઈએ. સ્વદેશી કંપનીઓ પાસે 1 થી 2 મહિના ચાલે તેટલો કાચો માલ તો છે જ. ફાર્માસિસ્ટ એસોસિયેશનને પણ કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી તેમની પાસે સ્ટોક હોય ત્યાં સુધી ભાવ વધારો ન લેવો. ભાવ પત્રક (હોલસેલ) ગ્લૂકોઝ બોટલના ભાવ રૂા.20થી વધીને રૂા.40, કોટનનો ભાવ રૂા.110થી વધી 132 અને એક્ઝામિન ગ્લવ્ઝનો ભાવ 290 થયો છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 5:09 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મોદીએ કહ્યું- યુદ્ધની અસર લાંબા સમય સુધી રહી શકે છે; શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પોતાની સેના બનાવશે; અફવાથી ગભરાટ, ગુજરાતના શહેરોમાં પેટ્રોલ માટે લાઈનો લાગી

નમસ્તે, ગઈકાલના સૌથી મોટા સમાચાર સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનના રહ્યા. તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની અસર લાંબા સમય સુધી રહી શકે છે. બીજા મોટા સમાચાર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના એલાન સાથે જોડાયેલા રહ્યા. તેઓ પોતાની 'ચતુરંગિણી સેના' બનાવશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. યુપીના સંભલમાં શાહી જામા મસ્જિદ અને હરિહર મંદિર વિવાદ મામલે સિવિલ કોર્ટમાં સુનાવણી થશે. કાલના મોટા સમાચારો 1. મોદીએ કહ્યું- હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનું સ્વીકાર્ય નથી:કોરોનાની જેમ કસોટીનો સમય, ધીરજ રાખી, એક થઇને લાંબો સમય લડવાની તૈયારી કરો; વાતચીતથી જ ઉકેલ આવશે પશ્ચિમ એશિયામાં સંઘર્ષની પરિસ્થિતિ પર પીએમ મોદીએ પહેલીવાર સંસદમાં સંબોધન કર્યુ. મોદીએ કહ્યું- હું આ ગૃહમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ભારત પર તેની અસર અંગે ચર્ચા કરવા આવ્યો છું. ત્યાંની પરિસ્થિતિ હાલમાં ચિંતાજનક છે. લોકસભામાં 25 મિનિટના ભાષણમાં તેમણે કહ્યું કે તણાવનો અંત આવવો જોઈએ. વાતચીત જ એકમાત્ર ઉકેલ છે. પીએમ મોદીએ કહ્યું કે નાગરિકો અને પાવર પ્લાન્ટ પર હુમલા અસ્વીકાર્ય છે. હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાનું સ્વીકાર્ય નહીં. પીએમએ કહ્યું, સરકાર દેશમાં તેલ અને ગેસ સંકટને રોકવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે, અમે હવે 27 દેશોને બદલે 41 દેશોમાંથી આયાત કરી રહ્યા છીએ. પશ્ચિમ એશિયામાં એક કરોડ ભારતીયો રહે છે. તેમની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ટ્રમ્પે કહ્યું- મુજતબા ખામેનીનું મોત નથી ઇચ્છતો:વેનેઝુએલા જેવી ઈરાનમાં નવી સરકાર બનશે, આ માટે તેઓ એક ખાસ વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યા છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનીનું મૃત્યુ નથી ઈચ્છતા. તેમણે એમ પણ કહ્યું કે તેઓ નથી જાણતા કે મુજતબા જીવિત છે કે નહીં. ફ્લોરિડામાં પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે ઈરાનમાં સત્તા પરિવર્તન થઈ શકે છે અને આ દિશામાં એક ખાસ વ્યક્તિ સાથે વાતચીત ચાલી રહી છે. અમેરિકા ઈરાનમાં નવી રાજકીય વ્યવસ્થાના વિકલ્પો પર કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે વેનેઝુએલાની જેમ કોઈ નવો નેતા સામે લાવી શકાય છે અથવા પછી અમેરિકા સાથે મળીને જોઈન્ટ લીડરશિપનું મોડેલ પણ અપનાવી શકાય છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન વાતચીત માટે ઉત્સુક છે અને જલ્દી સમજૂતી કરવા માંગે છે. તેમણે કહ્યું કે 5 દિવસ કે તેનાથી ઓછા સમયમાં આ ડીલ થઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. સોનાના ભાવમાં 40 વર્ષમાં સૌથી મોટો ઘટાડો:અઠવાડિયામાં 10%નો કડાકો, રોકડ માટે ખાડી દેશો સોનું વેચવા માંડ્યા, રોકાણકારોનું પ્રોફિટ બુકિંગ, ચાંદી પણ ક્રેશ આજે 23 માર્ચે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનું સવારે 12,077 રૂપિયા ઘટીને 1.35 લાખ રૂપિયા પર ખુલ્યું, પરંતુ સાંજે 7,649 રૂપિયાના ઘટાડા સાથે 1.40 લાખ રૂપિયા પર બંધ થયું. આ પહેલા તેની કિંમત 1.47 લાખ હતી. જ્યારે, એક કિલો ચાંદીની કિંમત સવારે 30,864 રૂપિયા ઘટીને 2.01 લાખ રૂપિયા પર ખુલી, પરંતુ સાંજે 17,760 રૂપિયાની રિકવરી પછી 13,104 રૂપિયાના ઘટાડા સાથે 2.19 લાખ પર બંધ થઈ. આ પહેલા શુક્રવારે તેની કિંમત 2.32 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી. 40 વર્ષમાં સોનાની કિંમતમાં આટલો મોટો ઘટાડો થયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. શંકરાચાર્ય 2.18 લાખ સૈનિકોની ચતુરંગિણી સેના બનાવશે:કાશીમાં કહ્યું- સેના ગાય, ધર્મ-શાસ્ત્ર અને મંદિરની રક્ષા કરશે; પહેલા રોકશે, ટોકશે પછી ઠોકશે વારાણસીમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સોમવારે ચતુરંગિણી સેના બનાવવાની જાહેરાત કરી. તેમણે કહ્યું- ચતુરંગિણી સેનામાં 2 લાખ 18 હજાર 700 સૈનિકો હશે. તેમાં દેશભરમાંથી લોકો ભરતી થશે. તેમણે જણાવ્યું- આ સેના ગૌરક્ષા, ધર્મ રક્ષા, શાસ્ત્ર રક્ષા અને મંદિર રક્ષાનું કાર્ય કરશે. તેમનો ડ્રેસ પીળો હશે. હાથમાં પરશુ હશે. તેના માટે શ્રીશંકરાચાર્ય ચતુરંગિણી સભાની રચના કરી છે. તેમાં 27 સભ્યો હશે. તેના અધ્યક્ષ તેઓ પોતે હશે. શંકરાચાર્યે કહ્યું- 1 પત્તી (ટીમ)માં 10 લોકો હશે. 21 હજાર 870 ટીમો બનશે તો સેના તૈયાર થઈ જશે. ભારતમાં હાલ લગભગ 800 જિલ્લા છે. જો દરેક જિલ્લામાં 27 ટીમો, એટલે કે 270 લોકો તૈયાર થઈ ગયા, તો 2 લાખ 16 હજાર લોકો તૈયાર થઈ જશે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ‘ધુરંધર’માં રણવીરનો 'ઘોસ્ટ લુક':મેકઅપની મહેનતનો BTS વીડિયો વાઈરલ; બોક્સઓફિસ પર 'કિંગ ઓફ લ્યારી'નું રાજ, 4 દિ'માં 750 કરોડની રેકોર્ડબ્રેક કમાણી રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર: ધ રીવેન્જ’એ ફક્ત ચાર દિવસમાં વિશ્વભરમાં ₹750 કરોડની કમાણી કરી છે. ગઈકાલે રવિવાર આ ફિલ્મે ફક્ત ભારતમાં ₹114.85 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે શાહરુખ ખાનની ‘પઠાણ’ અને ‘RRR’ દ્વારા અગાઉના સપ્તાહના બોક્સ ઓફિસ રેકોર્ડ તોડી નાખ્યા છે. શાહરુખ ખાનની ‘પઠાણ’ એ પાંચ દિવસના વિસ્તૃત સપ્તાહના અંતે ₹287 કરોડની કમાણી કરી હતી. ‘ધુરંધર 2’ એ હવે ‘બાહુબલી 2’ (₹591 કરોડ), ‘કલ્કી 2898 AD’ (₹500 કરોડ) અને ‘RRR’ (₹470 કરોડ) દ્વારા સ્થાપિત શરૂઆતના સપ્તાહના રેકોર્ડને વટાવી દીધો છે. તે હવે ભારતીય સિનેમા ઇતિહાસમાં બીજા ક્રમે સૌથી વધુ શરૂઆતના સપ્તાહના અંતે ઉભરી આવી છે, જે ફક્ત ‘પુષ્પા 2’ (₹762 કરોડ) પછી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. અમદાવાદમાં અછતની અફવા રાજ્યમાં ફેલાઈ, અન્ય શહેરોમાં પણ લાંબી લાઈનો:સરકારે કહ્યું- ' તમામ પંપ પર પેટ્રોલ મળી રહે તે માટે તૈયારી', અફવાથી દૂર રહેવા 'ભાસ્કર'ની અપીલ અમદાવાદ સહિતના શહેરોમાં સવારના સમયે કેટલાક પેટ્રોલપંપ બંધ જોવા મળ્યા હતા. જેના કારણે પેટ્રોલ મળતું બંધ થઈ જશે તેવા ડરના કારણે વાહનચાલકો પેટ્રોલ પંપ પર પહોંચવા લાગ્યા હતા. સાંજ પડતા જ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોના પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગતા ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા. સ્થિતિ બગડવા લાગતા સરકાર પણ એકશનમાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને અફવામાં ન દોરાવવા અપીલ કરી છે. રાજ્યમાં તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ-઼ડીઝલનો જથ્થો મળતો રહે તે માટે સરકાર વ્યવસ્થા કરી રહી હોવાની વાત કરી છે. સંઘવીએ કહ્યું કે, લોકોએ અફવામાં આવી પેટ્રોલ પંપ પર લાઈનો લગાવવાની જરુર નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'મોદીને ટ્રમ્પે એપ્સ્ટિનથી કંટ્રોલ કરી રાખ્યા છે':PMએ કહ્યું તમે જેમ હુકમ કરશો એમ કરીશું, કોઈ પાસેથી તેલ નહીં ખરીદીએ, વડોદરામાં આદિવાસીના કાર્યક્રમમાં રાહુલ ગાંધી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા. અંબાજીથી ઉમરગામ સુધી આવેલા આદિવાસી પટ્ટા ઉપર આદિવાસીઓના અધિકારો માટે લડતા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, સમાજના ઉત્થાન માટે કામ કરતા લીડરો અને પ્રબુધ્ધ નાગરિકો સાથે રાહુલ ગાંધીએ સંવાદ કર્યો હતો. ત્યાર બાદ તેઓ 4.45 વાગ્યે દિલ્હી જવા રવાના થયા હતા. ત્રણ વાગ્યે તેઓ વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આવકારીને 'રાહુલ ગાંધી જિંદાબાદ'ના નારા લગાવ્યા હતા. ત્યાર બાદ આજવા ચોકડી પાસે આવેલા દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે 34 મિનિટ સુધી સંબોધન કર્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : તમિલનાડુમાં ભાજપ 27 બેઠકો પર ચૂંટણી લડશે:કેરળ ભાજપ પ્રમુખ ચંદ્રશેખરની ઉમેદવારી રદ કરવાની માંગ:કોંગ્રેસનો દાવો- સોગંદનામામાં માહિતી છુપાવી વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : યુદ્ધ વચ્ચે ઓઈલ-ગેસથી ઈરાનની રેકોર્ડ કમાણી:હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજ લઇ જવા માટે 18.8 કરોડનો ટોલ ટેક્સ નાખ્યો; ખાડી દેશોનું ઉત્પાદન 70% સુધી ઘટ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : પ્રયાગરાજમાં કોલ્ડ સ્ટોરેજ ધરાશાયી, 4નાં મોત:20 લોકો દટાયા હોવાની આશંકા, બચાવ કામગીરી ચાલુ; 1 કિમી સુધી ફેલાયો એમોનિયા ગેસ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ન્યૂયોર્ક એરપોર્ટ પર વિમાન-ટ્રકની ટક્કર, બંને પાયલોટના મોત:એર ટ્રાફિક કંટ્રોલરે સ્ટોપ-સ્ટોપ બૂમ પાડી, 72 મુસાફરો સવાર હતા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : શેરબજારના રોકાણકારો માટે સારા સમાચાર!:ટ્રમ્પની ઈરાન પર હુમલા રોકવાની જાહેરાત પછી ગ્લોબલ માર્કેટમાં ઉછાળો, ક્રૂડ ઓઈલમાં એક ઝાટકે ઘટાડો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : સૌરભ દુબે-દસુન શનાકા IPLમાં સામેલ:હર્ષિત રાણાના રિપ્લેસમેન્ટ પર નિર્ણય બાકી; લીગમાં અત્યાર સુધી 10 ખેલાડીઓના રમવા પર શંકા વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : નવરાત્રિ, સર્વાર્થસિદ્ધિ અને રવિ યોગનો દુર્લભ સંયોગ:માઁ સ્કંદમાતાની આરાધનાથી ખુલશે સંતાન સુખના દ્વાર; પૂજા દરમિયાન પીળા વસ્ત્રો-ભોગનું મહત્ત્વ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ માછલીએ કાર ચલાવીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ નેધરલેન્ડમાં બ્લબ નામની એક ગોલ્ડફિશ માછલીએ કાર ચલાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. પાણીથી ભરેલી ટેન્કમાં લગાવવામાં આવેલી મોશન સેન્સર ટેકનોલોજી માછલીની દિશાને ટ્રેક કરતી હતી, જેના કારણે કાર પણ તે જ દિશામાં ચાલતી હતી. આ માછલીએ માત્ર 1 મિનિટમાં 40 ફૂટથી વધુ અંતર કાપ્યું. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ : ‘આસારામનો પડછાયો પણ ઘરમાં ન જોઇએ’: દીપેશના ઘરે આસારામ બેઠા એ ગાદી લોકોએ બાળી નાખી! જુઓ ‘આસારામ’ સિરીઝનો નવો એપિસોડ 2. આજનું એક્સપ્લેનર: રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, શું 100 પાર કરશે? તમારા ખિસ્સા કેવી રીતે ખાલી થશે; સરકાર શું કરી રહી છે? 3. મંડે મેગા સ્ટોરી : ઈરાન હાર કેમ નથી માની રહ્યું: 22 દિવસના યુદ્ધમાં કેટલું નુકસાન થયું; શું ટ્રમ્પ-નેતન્યાહુ યુદ્ધ સમાપ્ત કરવાનો રસ્તો શોધી રહ્યા છે? 4. ભાસ્કર એક્સક્લૂસિવ : 'ઈરાન - અઝરબૈજાન બોર્ડર પર ફસાયા, ધડાકાઓમાં રાત કાઢવી મુશ્કેલ': ભારતીય વિદ્યાર્થીઓ બોલ્યા- 1.5 લાખની ટિકિટ નકામી, નવી લેવાના પૈસા નથી 5. Editor's View: ટ્રમ્પનાં અલ્ટિમેટમનો ઉલાળિયો: ખામેનીની દફનવિધિ ન થવાની ત્રણ સંભાવના, મોજતબા પર સસ્પેન્સ, જાણો ઇરાનની સત્તા, સંતાકૂકડી અને સંઘર્ષની રહસ્યમય કહાની કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: સિંહ-કન્યા રાશિ માટે સફળતાનો માર્ગ મોકળો બનશે, કુંભ રાશિએ આર્થિક લેવડ-દેવડ પર રોક લગાવી! વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 5:00 am

ભાસ્કર એક્સક્લુસિવ:અમરનાથ યાત્રા આડે ગેસનું વિઘ્ન, વડોદરા સહિતના 140 ભંડારા માટે 980 બોટલની જરૂર,હજુ તારીખ જાહેર ન કરાઈ

ગેસની અછતની અસર અમરનાથ યાત્રા પર પણ પડી છે. અમરનાથ યાત્રા દર વર્ષે જૂનના અંતમાં શરૂ થતી હોય છે. સામાન્ય રીતે માર્ચમાં મેડિકલ ચેકઅપની પ્રક્રિયા શરૂ થાય છે અને તે પછી રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જોકે માર્ચ પૂર્ણ થવા આવ્યો હોવા છતાં યાત્રાની તારીખ નક્કી થઈ નથી. વડોદરાના ભંડારા સંચાલકોના જણાવ્યા અનુસાર, અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા હજુ સત્તાવાર સૂચના અપાઈ નથી, જેથી યાત્રા યોજાશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ છે. નોંધનીય છે કે, પંજાબથી પહેલગામ અને બાલતાલ સુધીના માર્ગમાં 140 જેટલા ભંડારા હોય છે. દરેક ભંડારામાં જમવાનું, નાસ્તો બનાવવા અને પાણી ગરમ કરવા રોજ સરેરાશ 7 બોટલની જરૂર પડે છે. આ હિસાબે સમગ્ર માર્ગ પર રોજ 980 બોટલની જરૂર રહે છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે આટલો ગેસનો પુરવઠો કેવી રીતે પૂરો પાડવો તે મોટો પડકાર બની રહ્યો હોવાનું ભંડારા આયોજકોએ જણાવ્યું હતું. શ્રાઈન બોર્ડ-ગૃહ મંત્રાલય વચ્ચે હજુ બેઠક મળી નથીગૃહ મંત્રાલય-શ્રાઈન બોર્ડ વચ્ચે યાત્રા અંગે બેઠક યોજાઈ નથી, તેમ જાણવા મળ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અને જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચે બેઠક પછી તારીખ જાહેર થાય છે. > મિલિંદ વૈદ્ય, ચેરમેન, મા શિવાની રંગ અમરનાથ ચેરિ. ટ્રસ્ટ જમનાબાઈ અને સયાજી હોસ્પિટલને મેડિકલ પ્રક્રિયા અંગે હજુ સૂચના મળી નથીઅમરનાથ યાત્રાએ જનારામાં અમદાવાદ-સુરત કરતાં વડોદરા અને તેની આસપાસના લોકોની સંખ્યા વધુ હોય છે. અંદાજે 30 હજાર લોકો યાત્રા માટે જાય છે. ગત વર્ષે માર્ચમાં જમનાબાઇ-સયાજી હોસ્પિટલમાં મેડિકલ પ્રક્રિયા શરૂ થઈ હતી, આ વર્ષે હજુ જમ્મુ-કાશ્મીર બેંક કે પંજાબ નેશનલ બેંકની સૂચના આવી નથી. ચારધામ યાત્રા માટે પણ અનિશ્ચિતતા22 એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ થશે. જોકે યાત્રી માટે જમવાની વ્યવસ્થા કેવી રીતે કરવી તે પ્રશ્ન ટૂર ઓપરેટરોને સતાવે છે. આ સ્થિતિને પગલે બસ દ્વારા ચારધામની ટૂર ઓપરેટ કરનારા સંચાલકો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. અમે સત્તાવાર સૂચનાની રાહ જોઈ રહ્યા છીએભંડારાના આયોજન માટે હજુ સુધી કોઈ સૂચના મળી નથી. અમે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે, પરંતુ જ્યાં સુધી સરકાર સત્તાવાર રીતે જાણ ન કરે ત્યાં સુધી અમે રાહ જોઈશું. > મનોજ બજાજ, દિલ્હી, ભંડારા આયોજક વૃંદાવનમાં રૂા.5 હજારમાં 1 સિલિન્ડર લેવો પડે છેહાર્દિક શાસ્ત્રીની કથા માટે 140 લોકોને સાથે વૃંદાવન આવ્યા છીએ. 6 માસ પૂર્વે ટ્રેન સહિતનાં બુકિંગ કર્યાં હોવાથી રદ કરી શકાય તેમ નથી. જમવા માટે રોજ 1 બોટલ 5 હજારમાં ખરીદવો પડે છે. > ચિરાગ પટેલ, ટ્રાવેલ્સ એસો.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:56 am

સિટી એન્કર:ડેટા એન્ટ્રીના નામે 30 લાખ પડાવી મહિલાએ ‘સંત તુકારામ’ ફિલ્મ બનાવી, છેતરપિંડી કરીને ભાગ્યા બાદ 22 વર્ષે મુંબઈથી ઝડપાઈ

ડેટા એન્ટ્રીનું કામ અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવ્યા બાદ તેમાંથી ‘સંત તુકારામ’ ફિલ્મ બનાવનાર મહિલા આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાંચે મહારાષ્ટ્રના વિરાર ખાતેથી ઝડપી લીધી છે. વર્ષ 2004માં રૂા.30 લાખની છેતરપિંડીના ગુનામાં મહિલા આરોપી 22 વર્ષથી વોન્ટેડ હતી. વડોદરા ક્રાઈમ બ્રાચના જણાવ્યા અનુસાર, ડેટા કન્વર્ઝન અને પ્રોસેસિંગનું કામ કરતા ફરિયાદીને અમેરિકાથી ડેટા એન્ટ્રીનું સીધું કામ અપાવવાનો મહિલા આરોપી સુનિતા રાજેશ માંડલ (ઉ.વ.56, રહે. પૂનમ પાર્ક વ્યૂ, વિરાર, મુંબઈ) દ્વારા વિશ્વાસ આપવામાં આવ્યો હતો. આ કામ માટે સુનીતા માંડલ દ્વારા 2 હજાર પીસી માટે એમ.ઓ.યુ. પણ કરવામાં આવ્યું હતું. આ કોન્ટ્રાક્ટની કુલ ફી રૂા. 60 લાખ નક્કી કરાઈ હતી, જેની સામે ફરિયાદીએ આરોપીઓને રોકડેથી અને ચેકથી કુલ રૂા. 45 લાખ ચૂકવ્યા હતા. નાણાં મેળવ્યા બાદ આરોપીઓએ ફરિયાદીને ડેટા એન્ટ્રીનું કોઈ કામ આપ્યું ન હતું અને આ નાણાંનો ઉપયોગ ‘સંત તુકારામ’ નામની ફિલ્મ બનાવવા માટે કરી નાખ્યો હતો. તે પછી ફરિયાદી દ્વારા વારંવાર માગણી કરવામાં આવતાં આરોપીઓએ રૂા.15 લાખ પરત કર્યા હતા, પરંતુ બાકીના રૂા. 30 લાખ પરત કર્યા ન હતા. આ મામલે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મુંબઈના નાલા સોપારા ખાતે પોલીસની ટીમોએ ધામા નાખ્યા બાદ બાતમીના આધારે આરોપીની દબોચીક્રાઈમ બ્રાંચને આરોપી મુંબઈના નાલા સોપારા ખાતે રહેતી હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસની ટીમ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ધામા નાખ્યા હતા. ત્યારબાદ બાતમીના આધારે મુંબઈના પાલઘર જિલ્લામાં વિરાર ખાતેથી આરોપી સુનિતા માંડલની ધરપકડ કરવામાં આવી હતી. ઓનલાઈન પોર્ટલના ડેટાનો ઉપયોગ કરીને ફોન કરાય છેસાયબર ક્રાઈમના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગઠિયાઓ મોટાભાગે ઓનલાઈન પોર્ટલના ડેટાનો ઉપયોગ કરીને લોકોને ઘર બેઠાં નોકરી, જેમાં ડેટા એન્ટ્રીનો ફોન કરીને રૂપિયા કમાવવાની લાલચ આપી રહ્યાં છે. જ્યારે કામ આપ્યા બાદ સમયસર કામ પૂરું થયું નથી, તેમ જણાવીને લીગલ નોટિસના બહાને રૂપિયા પડાવે છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:53 am

CM દ્વારા સન્માન કરાયું:200 સખીમંડળોની રચના કરનાર આંગણવાડી ‎સુપરવાઈઝરને માતા યશોદા એવોર્ડ એનાયત‎

હિંમતનગરના ઈલોલ સેજામાં ફરજ બજાવતા સુપરવાઈઝર આનંદીબેન બી.પટેલે બાળકોમાં કુપોષણ નાબૂદ કરવાના મિશન અને 200 જેટલા સખીમંડળો દ્વારા મહિલાઓને પગભર કરવાના ભગીરથ કાર્ય બદલ રાજ્ય સરકાર દ્વારા તેમને પ્રતિષ્ઠિત માતા યશોદા એવોર્ડથી સન્માનિત કર્યા છે. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આનંદીબેનને આ સન્માન એનાયત કરાયો હતો. જેમાં એવોર્ડ શિલ્ડ, પ્રશસ્તિ પત્ર અને 61હજાર રાશિનો સમાવેશ થાય છે. 1988માં એક સામાન્ય આંગણવાડી વર્કર તરીકે કારકિર્દી શરૂ કરનાર આનંદીબેન આજે 37 આંગણવાડી કેન્દ્રોના માર્ગદર્શક તરીકે કાર્યરત છે. તેમની કામગીરીમાં માત્ર આંકડાઓ જ નહીં પરંતુ બાળકો પ્રત્યેની મમતા પણ ઝળકે છે. તેમણે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અને હેત પ્રોજેક્ટ હેઠળ અતિ ઓછા વજનવાળા બાળકોને લાડુ વિતરણનું 100% અમલીકરણ કરાવી કુપોષણના દરમાં ઘટાડો નોંધાવ્યો છે. માત્ર પોષણ જ નહીં, પરંતુ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમણે અંદાજે 200 સખીમંડળોની રચના કરી છે. વધુમાં સરકારી ગ્રાન્ટની રાહ જોયા વિના તેમણે ઉદાર દાતાઓના સહયોગથી આંગણવાડીઓમાં સિલિંગ ફેન, સ્કૂલ બેગ, વોટર બોટલ અને ગરીબ બાળકો માટે કપડાં જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. ​ પા પા પગલી પ્રોજેક્ટથી લઈને આધુનિક ટેકનોલોજીના ઓનલાઈન એન્ટ્રીના કામમાં પણ અવ્વલ રહીને આનંદીબેને સાચા અર્થમાં માતા યશોદાની ભૂમિકા સાર્થક કરી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:44 am

શંકરપુરાના સત્સંગ મેળાવડામાં મુમુક્ષુઓ ઊમટ્યા:સત્સંગ એ માત્ર ભેગા થવાનો નહીં પણ‎ અંતર્મુખ થવાનો માર્ગ છે ‎: રામજી બાપા‎

ભિલોડાના શંકરપુરામાં પરમ પૂજ્ય રામજીબાપા (ધોલવાણી)ના પાવન સાંનિધ્યમાં સત્સંગ મેળાવડાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત મુમુક્ષુ ભાઈ-બહેનોને શ્રીમદ્ રાજચંદ્ર, શ્રીમદ્ રામજીબાપા, શ્રીમદ્ નાથુબાપા તથા શ્રીમદ્ જેશીંગબાપાના બોધવચનોનું રસપાન કરાવાયું હતું. પૂ.બાપાએ જણાવ્યું હતું કે સત્સંગ એ માત્ર ભેગા થવાનો નહીં. અંતર્મુખ થવાનો માર્ગ છે. પરમ પૂજ્ય રામજીબાપાએ જણાવ્યું હતું કે સત્સંગમાં શા માટે આવ્યા છીએ તેનો મર્મ સમજાવાવો જોઈએ. માત્ર રોટલા ખાઈને વિખેરાઈ જવાનો આ માર્ગ નથી. જન્મ-મરણના ફેરામાંથી અને અનેક માતા-પિતા કરવાના ચક્રમાંથી બચવા માટે જ આ સત્સંગ છે. શંકરપુરામાં પૂર્વજન્મનું જે દેવું કર્યું હતું તે ચૂકવવા આવ્યા છીએ. હવે નવા કર્મો ન બંધાય તેનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. સત્પુરુષોના યોગબળનો મહિમા સમજાવતા તેમણે કહ્યું કે, જો કોઈ જીવ પૂર્વની કમાણી વાળો હોય તો તેના માટે પાંચ મિનિટનો સત્સંગ પણ અંતર્મુખ થવા માટે પૂરતો છે. દર્પણ ચોખ્ખું હોય તો બધું દેખાય એમ અંદરથી બધી વાત સમજાય છે. આત્મા એ જ પરમાત્મા: કમાવું, ખાવું ને મરી જવું એ તો પશુઓ પણ કરે છે મનુષ્ય જન્મની દુર્લભતા અને જીવનના વાસ્તવિક હેતુ પર પ્રકાશ ફેંકતા પૂજ્ય રામજીબાપાએ જણાવ્યું કે, મનુષ્ય અવતાર વારંવાર મળતો નથી. આ અવતારમાં કરવા જેવું એકમાત્ર કામ આત્માનું કલ્યાણ છે. માત્ર કમાવું, ખાવું અને મરી જવું એ તો અન્ય પશુ-પક્ષીઓ અને જીવો પણ કરે છે. પરંતુ જો જીવ ધારે તો તે શિવ બની શકે છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:41 am

11 વોર્ડ માટે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ:હિંમતનગર પાલિકાની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ,12હજાર મતદારોનો વધારો

​સોમવારે હિંમતનગર પાલિકાની નવા સીમાંકન પ્રમાણે 11 વોર્ડ માટે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ થતાં 8 કાઉન્સિલર અને 12 હજાર મતદારોનો વધારો થયો છે. સૌથી વધુ મતદાર 100 ટકા લઘુમતી વોર્ડ નં-3 માં 8827 છે. જ્યારે સૌથી ઓછા મતદાર વોર્ડ નં-8 માં 4503 છે. નવા સીમાંકન બાદ ભાજપનું સંખ્યાબળ વધશે તેવી વોર્ડ રચના જણાઈ રહી છે. ​આ વખતના મતદાનમાં એસઆઈઆર બાદની આખરી મતદાર યાદીનો અમલ નહીં થાય તેવું જાણવા મળી રહ્યું છે. હિંમતનગર પાલિકાના 11 વોર્ડમાં મતદારોની સંખ્યા આશરે 7 થી 8 હજારની આસપાસ રહી છે. ચાર વોર્ડમાં 6 હજારની આસપાસ મતદાર છે, એક વોર્ડમાં માત્ર સાડા ચાર હજાર મતદાર છે. ચાર વોર્ડમાં સાત હજારની આસપાસ તો બે વોર્ડમાં 8-9 હજાર આસપાસ મતદાર છે. ​ બે વોર્ડ વધવા છતાં અને 12 હજાર મતદારોનો વધારો થવા છતાં ભાજપનું સંખ્યાબળ વધનાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. નવા બનેલ વોર્ડ નં-10 અને વોર્ડ નં-11નો આખો પટ્ટો ભાજપનો ગઢ ગણાય છે. મતદારો અને વિસ્તાર વધવા છતાં ભાજપ માટે સમસ્યા જણાય તેવી નથી પરંતુ ચૂંટણી લડવામાં ઉમેદવારોને ભારે હરીફાઈનો સામનો કરવો પડશે. વાંધા અરજી માટે 5 દિવસ અપાયા ​

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:39 am

કરુણાંતિકા સર્જાઈ:ઇડરના ભદ્રેશ્વર નજીક પુલ પરથી નદીમાં પડી જતાં યુવાનનું મોત

ઇડરના ભદ્રેશ્વર નજીક પુલ પરથી બાઇક ચાલક અકસ્માતને લઇ પુલ પરથી નદીના પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું. ફાયર બ્રિગેડે મહામહેનતે યુવકની લાશ બહાર કાઢી હતી.ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઈડરના ભદ્રેશ્વર ગામ નજીક તા.23-03-26ના રોજ સોમવારે બદામેશ્વર મંદિરની બાજુમાં આવેલ નદીમાં બાઈક ચાલક યુવક અકસ્માતના કારણે પુલ ઉપરથી નદીના પાણીમાં પડતાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું. ઘટના બપોરે 2:00 વાગ્યાની આસપાસ બની હતી. ત્યારબાદ સત્વરે ઈડર નગરપાલિકાની ફાયર ટીમ આવી જતાં ફાયર વિભાગના કર્મચારીઓએ યુવકના મૃતદેહને બહાર કાઢવા તજવીજ હાથ ધરતાં મૃતદેહને બહાર કાઢ્યો હતો. ઘટનાની જાણ થતાં જાદર પોલીસ આવી પહોંચી હતી અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી. મરણ જનાર યુવાને પુલ ઉપરથી નીચે પટકાયા બાદ બહાર નીકળવા ઘણો પ્રયાસ કર્યો હતો. પરંતુ કમનસીબે બહાર નીકળી શક્યો ન હતો. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:37 am

વનવિભાગ દોડતું થયું:મોડાસા આરટીઓ બાયપાસ પર જંગલ વિસ્તારમાં દીપડો દેખાયો

મોડાસામાં જીઆઈડીસી અને બાયપાસ પર આવેલ એઆરટીઓ કચેરી પાછળના જંગલ જેવા વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરાતાં આ વિસ્તારમાં દીપડો હોવાની પુષ્ટી થઈ છે. જેના પગલે વન વિભાગે તાત્કાલિક અસરથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વન વિભાગ દ્વારા જુદી જુદી ત્રણ ટીમો બનાવીને બાયપાસ ઉપર આવેલા આસપાસના જંગલ વિસ્તારમાં સંભવિત સ્થળોએ દીપડાની શોધખોળ કરી રહી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. સાથે સાથે વન વિભાગે સ્થાનિક રહીશોને સાવચેત રહેવા અપીલ કરી જણાવ્યું છે કે જો કોઈને દીપડો દેખાય તો તરત જ વિભાગનો સંપર્ક કરવો.આ માટે વન વિભાગના અધિકારીએ પોતાનો પર્સનલ નંબર 92651 94573 પણ જાહેર કર્યો છે. જેથી લોકો સમયસર માહિતી આપી શકે વન વિભાગની ટીમો પગેરા અને અન્ય પુરાવાઓના આધારે દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી છે. બાયપાસ પર આવેલી 25 કરતાં વધુ સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ છવાયો હતો.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:35 am

નવીન ડામર રોડ બનાવવાની માંગ:પાલનપુરના વાસણથી કુંપર (ભા) વચ્ચેનો ધુળીયો રસ્તો નવો બનાવો

પાલનપુર પાલનપુર તાલુકાના વાસણ (ધા) થી કુંપર ભાટવડીને જોડતો ધૂળીયો માર્ગ ડામર રોડ બનાવવામાં આવે તો આજુબાજુના દસથી વધુ ગામોના લોકોને અવર- જવરમાં રાહત થાય તેમ છે. પાલનપુર તાલુકાના વાસણ (ધા) બસ સ્ટેન્ડથી કરજી રામદેવપીરજી મંદિરથી સીધો કુંપર (ભાટવડી) જતો માર્ગ વર્ષોથી ધુળીયો છે. આ માર્ગ ડામર રોડ બનાવવામાં આવે તો ગોળા, માણકા, ગોપાલપુરા, વાસણ સહિતના આઠથી દસ ગામોના લોકોને માલણ, બાલારામ જવામાં સરળતા રહેશે. આ માર્ગ ઉપર ઉમરદશી નદીનું વ્હેણ પણ આવે છે. જ્યાં રપટ બનાવવામાં આવે તેવી પણ લોકોની માંગણી છે. વાસણથી કુંપર (ભા) વચ્ચે ધુળીયો રસ્તો ડામર રોડ બનાવવા માંગ છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:31 am

પાલનપુર મહિલા સહાયતા કેન્દ્રની સરાહનીય કામગીરી:એક વર્ષથી પત્ની પાસે છુટાછેડા માગતા પતિને બે દીકરીનું ભવિષ્ય બતાવતાં હ્દય પરિવર્તન

​પાલનપુર પંથકમાં પરણાવેલી યુવતીનું છ વર્ષનું લગ્નજીવન ભંગાણને આરે આવી ગયું હતું. પતિ સતત છુટાછેડાની માંગણી કરી રહ્યો હતો. પોતાનું અને બે દીકરીઓના ભવિષ્યનું શું થશે તેનો વિચાર કરી યુવતીએ પાલનપુર મહિલા સહાયતા કેન્દ્રની મદદ લીધી હતી. કાઉન્સિલરે તેણીના પતિને બે દીકરીઓના દુઃખદ ભવિષ્યનો ચિતાર આપતા આખરે પતિનું હૃદય પરિવર્તન થયું હતું અને ત્રણેયને અપનાવી લીધા હતા. ​પાલનપુર ​રેન્જ આઈ.જી. કચેરી પાસે આવેલા મહિલા સહાયતા કેન્દ્રમાં એક પીડિત પત્ની ન્યાયની આશાએ આવી હતી. લગ્નના છ વર્ષ બાદ પણ પતિના શારીરિક અને માનસિક ત્રાસથી તે ભાંગી પડી હતી. છૂટક કામ કરતો પતિ વાત-વાતમાં અપશબ્દો બોલી પત્નીને કાઢી મૂકવા મથતો હતો. પતિની એક જ માંગ હતી: તું જતી રહે અને દીકરીઓ મને સોંપી દે, મારે તારી સાથે નથી રહેવું.આ અંગે મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સિલર જીગીશાબેન તરાલે જણાવ્યું હતું કે, સમક્ષ જ્યારે આ મામલો આવ્યો, ત્યારે પરિસ્થિતિ નાજુક હતી. સમાજ દ્વારા અગાઉ થયેલા સમાધાન નિષ્ફળ રહ્યા હતા. બે માસૂમ દીકરીઓનું ભવિષ્ય માતા-પિતા વગર કેવું અંધકારમય બનશે તેનું ચિત્ર પતિ સમક્ષ રજૂ કર્યું હતું. પતિને કાયદાકીય ગૂંચવણો અને ભવિષ્યની મુશ્કેલીઓ સમજાવી હતી. કાઉન્સિલિંગની એવી અસર થઈ કે પથ્થર દિલ પતિનું હૃદય પીગળ્યું હતું. તેણે પોતાની ભૂલ સ્વીકારી લેખિતમાં ખાતરી આપી કે હવે તે પત્નીને સારી રીતે રાખશે. થોડા સમય બાદ જ્યારે ફોલોઅપ મીટિંગ લેવામાં આવી ત્યારે પત્નીના ચહેરા પર સ્મિત હતું. તેણે ગદગદિત હૃદયે જણાવ્યું કે, હવે પતિ સુધરી ગયા છે, તેઓ છૂટાછેડાનું નામ પણ લેતા નથી અને અમે સુખેથી રહીએ છીએ.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:30 am

અકસ્માતની ભીતિ સર્જાઈ:સદરપુર- સોનગઢ માર્ગે અંડરપાસમાં‎તૂટેલી ચેમ્બરથી અકસ્માતનો ખતરો‎

સદરપુર-સોનગઢ માર્ગના અંડરપાસમાં તૂટી ગયેલા ડ્રેનેજ ચેમ્બર કારણે એ ક મહિનાથી સમસ્યા યથાવત છે, છતાં તંત્ર નિષ્ક્રિય રહેતા અકસ્માતનો ખતરો વધ્યો છે. ખાડામાં પડવાના બનાવોમાં વધારો થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પાલનપુરના સદરપુરથી સોનગઢને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ રેલ્વે અંડરપાસમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ આ ચેમ્બર તૂટી જતા અંડરપાસમાં મોટો ખાડો પડી ગયો છે, જે વાહનચાલકો માટે અકસ્માત નોતરી રહ્યો છે. સદરપુરના ગ્રામજનોને જણાવ્યું હતું કે, આ માર્ગ સદરપુર અને સોનગઢ વચ્ચેનો મહત્વનો જોડાણ માર્ગ હોવાથી દરરોજ ખેડૂતો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં અવર-જવર કરે છે. ખાડાના કારણે ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્યાર સુધીમાં ચારથી પાંચ બાઈક સવાર પરિવાર સાથે આ ખાડામાં પડ્યા હોવાના બનાવી બન્યા છે. જ્યારે કેટલીક મોટી ગાડીઓ પણ ખાડામાં ફસાઈ જવાની ઘટનાઓ બની હતી. અનેક વખત તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોની માંગ છે કે,તંત્ર તાત્કાલિક ધ્યાન આપી તૂટી ગયેલા ચેમ્બરનું ઢાંકણું બદલાવી માર્ગને સરખો કરે, નહીં તો મોટી જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય નહીં.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:29 am

ગટર ઉભરાવવાની સમસ્યા વકરી:દુર્ગંધથી રાત્રે સુઈ શકાતું નથી :રહીશોની વ્યથા

પાલનપુર કોટ અંદરના વોર્ડ નં. 5ના ખાસદારફળી વિસ્તારમાં ગટર ઉભરાતાં રહિશો ત્રસ્ત બન્યા હતા. જ્યાં નગરપાલિકા દ્વારા સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલનપુરમાં જુદાજુદા વિસ્તારોમાં ભૂર્ગભ ગટર ઉભરાવાની સમસ્યા સામે આવી રહી છે. જ્યાં કોટ અંદરના વિસ્તારમાં વોર્ડ નં.5ના ખાસદારફળી વિસ્તારમાં ગટરો ઉભરાઇ રહી છે. આ અંગે રહિશોએ જણાવ્યું હતુ કે, ઘર આગળ જ ગટરો ઉભરાઇ રહી છે. ગંદકી અને બદબુથી સરખી રીતે જમી શકાતું નથી. રાત્રે સુઇ પણ શકાતું નથી. દરમિયાન નગરપાલિકા દ્વારા ચેમ્બરોની સફાઇ હાથ ધરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:23 am

આરોપીઓને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધરાયું:10 લાખના ઝઘડાપછી હુમલામાં પોલીસે તપાસ શરૂ કરતાં આરોપીઓ ભૂગર્ભમાં

10 લાખના જૂના ઝઘડાને લઈને પાટણ-ઊંઝા હાઈવે પર ફિલ્મી અંદાજમાં આર્ટિગા ગાડી પર હુમલા નો પ્રયાસ થયો હોવાની ઘટનામાં ભાવેશ દેસાઈ સહિતના શખ્સો પર ફરિયાદ થતાં પોલીસે આરોપીઓને પકડવા માટે એલસીબી એસઓજી સહિતની ટીમો કામે લગાડી છે. પરંતુ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પંદરેક દિવસ પહેલા સાંજના સમયે નંબર પ્લેટ વગરની ચાર કાળી ગાડીઓમાં આવેલા શખ્સોએ પાટણ-ઊંઝા હાઈવે પર આર્ટિગા કારને ઘેરી લોખંડની પાઈપોથી હુમલો કર્યો હતો. જોકે, ટાર્ગેટ બનેલા જીતુભા રાઠોડે ફોરચ્યુનર કારને ટક્કર મારીને પોતાની ગાડી ભગાવી દીધી હતી. આ મામલે ઝિલીયાના ભાવેશ બળદેવભાઈ દેસાઈ, ભાર્ગવ બળદેવભાઈ દેસાઈ, નાગલપુરના અક્કી દેસાઈ અને માલસુંદના દેવું દેસાઈ સહિત અંદાજે 6થી 7 અજાણ્યા શખ્સો સામે પાટણ શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ફરિયાદ નોંધાતા જ તમામ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:16 am

બાયોમેટ્રિક ફેસિલિટી ઘરઆંગણે મળશે:પાટણમાં 1 એપ્રિલથી જીએસટી બાયોમેટ્રિક સુવિધા શરૂ કરાશે

પાટણ કાર્યક્ષેત્રના કરદાતાઓને નવા જી.એસ.ટી. રજીસ્ટ્રેશન માટે બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અત્યાર સુધી પાલનપુર જવું પડતું હતું. પરંતુ હવે આગામી 1 એપ્રિલથી પાટણ ખાતે જ બાયોમેટ્રિક ફેસિલિટી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આ માટે જી.એસ.કે. સેવા કેન્દ્ર પાલનપુરનો સ્ટાફ દર અઠવાડિયે મંગળવાર અને શુક્રવારે પાટણમાં હાજર રહેશે.આ બે દિવસ તેઓ ગાયત્રી મંદિર રોડ પર શ્રીકુંજ પ્લાઝાના ત્રીજા માળે આવેલી સહાયક રાજ્ય વેરા કમિશનર કચેરી ખાતે સેવા આપશે. નવા જી.એસ.ટી. નોંધણી માટે વેપારીઓએ અગાઉથી ઓનલાઇન સ્લોટ બુકિંગ કરાવવું પડશે, જેથી તેઓ પાટણ ખાતે જ બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકે. નોંધનીય છે કે પાટણ જિલ્લાના પાટણ, સરસ્વતી, ચાણસ્મા, સમી, હારીજ, રાધનપુર અને સાંતલપુર તાલુકા, તેમજ શંખેશ્વર અને મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના વેપારીઓ માટે પાટણમાં આ સુવિધા ઉપલબ્ધ રહેશે.જ્યારે સિદ્ધપુર તાલુકાના નવા વેપારીઓએ બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અગાઉની જેમ પાલનપુર જવું પડશે. સંયુક્ત રાજ્ય વેરા કમિશનર મહેસાણા મિતેષભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે પાટણ જિલ્લાના નવા વેપારીઓને હવે બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પાલનપુર સુધી જવું ન પડે, તે માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:15 am

જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું‎:નવું બસપોર્ટ શરૂ થતાં પૂર્વે રૂટના 4 મુખ્ય સ્થળો નો-પાર્કિંગ

પાટણ શહેરમાં 27 માર્ચના રોજ નવીન બસપોર્ટ શરૂ થનાર હોય બસના રૂટ વિસ્તારમાં હોસ્પિટલો અને મુખ્ય બજાર આવેલ હોવાથી લોકોની અવર-જવર ખૂબ રહે છે, જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા ન સર્જાય તે હેતુથી જિલ્લા મેજીસ્ટ્રેટ તુષાર ભટ્ટ દ્વારા શહેરના મહત્વના માર્ગોને ‘નો-પાર્કિંગ ઝોન’ અને ‘વન-વે’ જાહેર કરી નિયમો ભંગ બદલ કાર્યવાહી કરવા માટે પણ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. બસ સ્ટેશન કાર્યરત થાય તે પૂર્વે પાલિકા ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે સર્વે કરીને બસની અવરજવર વાળા રૂટ ઉપર ધ્યાન નડતરરૂપ વાહનો પાર્કિંગ થતા હતા. તેમજ નિયમ ભંગ રીતે વાહન વ્યવહાર થતો હોય તેનું ઓબ્ઝર્વેશન કરી ટ્રાફિક વાળા પોઇન્ટ ઉપર નો પાર્કિંગ જોન અને વન વે રોડ જાહેર કરવામાં આવ્યા છે. જેને લઇ આડેધડ પાર્કિંગ ના થાય અને રોંગ સાઈડ વાહનોની અવરજવર બંધ થાય તો ટ્રાફિક સર્જાય નહીં માટે આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કલેકટર દ્વારા જાહેરનામા સાથે વિવિધ દંડકીય અને કાયદાકીય જોગવાઈઓ પણ કરવામાં આવી છે. સાથે પોલીસ દ્વારા પણ શહેરમાં ટ્રાફિક નો પ્રશ્ન ઉભો ના થાય માટે અત્યારથી જાહેરનામાના ચુસ્તપણે અમલીકરણ માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ડીવાયએસપી કે કે પંડ્યા એ જણાવ્યું હતું કે જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ બીએનએસ 223 મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરના હોદ્દા ધરાવતા તમામ અધિકારીઓને આ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે ફરિયાદ નોંધવા કાર્યવાહી કરશે. નો-પાર્કિંગ ઝોન વિસ્તારોમાં કોઈપણ પ્રકારના યાંત્રિક વાહનો પાર્ક કરી શકાશે નહીં કે ઊભા રાખી શકાશે નહીં. દર્શ સ્કૂલ બ્રિજની પહોળાઈ ઓછી હોવાથી જો બસ પસાર થાય તો સામેથી અન્ય વાહન આવી શકે તેમ નથી. કાયમી સમસ્યા નિવારવા માટે આદર્શ સ્કૂલ બ્રિજના છેડેથી બ્રિજના મધ્યભાગમાં ત્રણ રસ્તા સુધીના માર્ગને ‘વન-વે’ જાહેર કર્યો છે. આ માર્ગો હવે ‘નો-પાર્કિંગ ઝોન’ રહેશે હંગામી અને પાકા દબાણ દૂર કરાશે પાટણ પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે જણાવ્યું હતું કે શુક્રવારે પાટણ શહેર ની અંદર નવું બસ સ્ટેશન કાર્યરત થતું હોય તે રૂટ ઉપર હંગામી દબાણ દૂર કરવા સૂચના અપાશે અને પાકા દબાણને તોડી પડાશે. બસ સ્ટેશન સામેના રોડ ડિવાઇડર ઉપર લગાવેલી લોખંડની રીંગ અને ડિવાઇડર દૂર કરી રોડ ખુલ્લો કરવામાં આવે છે. એક દિવસમાં 1200 ટ્રીપ થશે, બસોને ‎નીકળવામાં ટ્રાફિક અડચણરૂપ થશે‎પાટણના સિનિયર ‎નિવૃત એક ડેપો વિભાગના‎કર્મચારીઓ ‎જણાવ્યું હતું પાટણ ડેપોમાં‎એક દિવસમાં ‎સરેરાશ 1200 બસ ટ્રિપ મારે‎છે (દરેક બસની અલગ અલગ ટ્રીપની આવવાની અને જવાની બંનેની‎સાથે ગણતરી ). બસ પોર્ટ બહાર લોખંડની ગ્રીલ તોડીને રસ્તા પોહળા‎કર્યા હોય બસોને અંદર પ્રવેશ કે બહાર નીકળવામાં પ્રશ્ન રહેશે‎નહીં.પરતું બસ સ્ટેશનમાં આવવા માટે બગવાડા સ્વામી વિવેકાનંદ‎સ્ટેચ્યુ તરફથી અને પરત જશે આદર્શ રોડ ઉપરથી જેથી બન્ને સ્થળે‎વળાંક નાના છે. જેથી બસોને નીકળવામાં ક્યાંકને ક્યાંક ટ્રાફિક‎અડચણરૂપ બની શકે છે.જેથી શહેરનું ટ્રાફિક વધશે. તેવું એસટી‎વિભાગના નિવૃત કર્મચારીએ જણાવ્યું હતું.‎

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:13 am

વિશ્વ ટીબી દિવસ:આરોગ્ય કર્મચારી દર મહિને પગારના 10% રકમથી ટીબીના દર્દીઓને પોષણ કીટ આપી ઝડપી સ્વસ્થ કરવા પ્રયાસ કરે છે

24 માર્ચ વિશ્વ ટીબી દિવસના અવસરે જ્યારે દેશ ક્ષય મુક્ત ભારતનો સંકલ્પ કરી રહ્યો છે, ત્યારે પાટણના રાધનપુરમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારી ચિરાગ ચાવડા સાચા અર્થમાં નિ-ક્ષય મિત્ર સાબિત થયા છે. છેલ્લા 9 વર્ષથી તેઓ પોતાના પગારમાંથી દર મહિને 10 ટકા રકમ અલગ કાઢી ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહારની કીટ પૂરી પાડી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમને 300 જેટલા દર્દીઓને આ કીટ આપી દર્દીઓને ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરી છે. રાધનપુર તાલુકાના ગોતરકા પીએચસી હેઠળ કમાલપુર-2 આયુષ્માન આરોગ્ય મંદિરમાં (MPHW) આરોગ્ય કર્મચારી તરીકે કાર્યરત ચિરાગ ચાવડાએ માનવતાની અનોખી કેડી કંડારી છે. ટીબી જેવી ગંભીર બીમારીમાં માત્ર દવા જ પૂરતી નથી, પરંતુ તેની સાથે પ્રોટીનયુક્ત આહાર પણ અનિવાર્ય છે. આ બાબતને ધ્યાને રાખી ચિરાગભાઈએ પોતાના અંગત ખર્ચમાંથી મગ, ચણા, ખજૂર, સીંગદાણા અને મિક્સ દાળ જેવી પોષક તત્વોથી સભર ન્યુટ્રિશન કીટ તૈયાર કરી વિતરણ શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં તેઓ 1.50 લાખથી વધુનો ખર્ચ 300 જેટલા દર્દીઓને કીટ આપી છે. તેમની આ કાર્યને કારણે વર્ષ 2019થી 2025 દરમિયાન અનેકવાર જિલ્લા કક્ષાએ સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ માત્ર કીટ આપીને અટકી જતા નથી, પરંતુ દર્દીઓને 6 મહિના સુધી દત્તક લઈ તેમના સ્વાસ્થ્યનું સતત ફોલોઅપ પણ લે છે. એકલી દવા ગરમ પડતી, કીટથી ઝડપી સ્વસ્થ થયારાધનપુર વિસ્તારમાં મજૂરી કામ કરતા એક ગરીબ દર્દીએ ભાવુક થઈ જણાવ્યું કે, ટીબી થયો ત્યારે કામ છૂટી ગયું અને ખાવાના ફાંફા હતા. દવાઓ ગરમ પડતી હતી, પણ ચિરાગ સાહેબે આપેલી કઠોળ અને ખજૂરની કીટથી મારા શરીરમાં શક્તિ આવી. તેમના માર્ગદર્શન અને સહાયને કારણે જ આજે હું ફરી બેઠો થયો છું. આવો સરકારી કર્મચારી મે પહેલો જોયો છે. જે પગારમાંથી દર્દીઓની સેવા કરી રહ્યો છે. ચિરાગ ચાવડાએ જણાવ્યું હતું કે, 2017માં જ્યારે હું ફિલ્ડ વિઝિટમાં જતો ત્યારે જોતો કે ગરીબ દર્દીઓ ટીબીની આકરી દવાઓ તો લે છે, પણ ઘરે પૂરતું ખાવાનું ન હોવાથી નબળાઈને કારણે ટકી શકતા નથી. આ જોઈ મારું મન દ્રવી ઉઠ્યું અને મેં નક્કી કર્યું કે મારા પગારનો એક ભાગ આ દર્દીઓના પોષણ માટે વાપરીશ. મેં છેલ્લા 9 વર્ષથી મારો જન્મદિવસ પણ આ જ દર્દીઓ વચ્ચે કીટ વિતરણ કરીને ઉજવવાનું નક્કી કર્યું છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:10 am

પર્યાવરણવિદ્ મહેશ પંડ્યાનું પ્રેરક વ્યાખ્યાન:રાસાયણિક ખાતરો અને શહેરમાં ભરાતાં ગંદા પાણીથી ઉભી થતી સમસ્યા ગંભીર

પાટણની શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં વિશ્વ જળ દિવસ નિમિત્તે જળસંકટ એક ગંભીર સમસ્યા વિષય પર વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં પર્યાવરણવિદ્ મહેશભાઈ પંડ્યાએ જળ સમસ્યાના ગંભીર પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. સ્વ. કીર્તિકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલતા મને જાણો કાર્યક્રમ અંતર્ગત આયોજિત આ વ્યાખ્યાનમાં મુખ્ય વક્તા મહેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ 2026ની થીમ (જળ અને જાતિ) રાખવામાં આવી છે. તેમણે સદ્રષ્ટાંત સમજાવ્યું કે ઉદ્યોગોના કેમિકલ્સથી નદી અને દરિયામાં વધતું પ્રદૂષણ, ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને શહેરોમાં ભરાતા ગંદા પાણીને કારણે ઉભી થતી ગંભીર સમસ્યાઓ પર તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જો સરકાર અને સમાજમાં પાણીના શુદ્ધિકરણ સાથે રક્ષણની પ્રબળ ઈચ્છાશક્તિ જાગે તો જ ભવિષ્યમાં આ સંકટથી બચી શકાશે. કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ ડૉ. શૈલેષ સોમપુરાએ સ્વાગત પ્રવચન કરતા પાટણમાં પાણી ભરાવાના અને ગટર ઉભરાવાના સ્થાનિક પ્રશ્નો વિશે ચર્ચા કરી હતી. વક્તાનો પરિચય નગીનભાઈ ડોડીયાએ આપ્યો હતો, જ્યારે રમેશભાઈ પટેલ અને શિવમભાઈ મોદી સહિતના શ્રોતાઓએ પ્રશ્નોત્તરી દ્વારા સુંદર સંવાદ કર્યો હતો. આ પ્રસંગે યુનિવર્સિટીના ગાર્ગીબેન રાવલ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને અંતમાં મહાસુખભાઈ મોદીએ આભારવિધિ કરી હતી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:06 am

ભાસ્કર એનાલિસિસ:ઉ.ગુ.માં 50% સિઝન પૂર્ણ, મહેસાણામાં 80% થી વધુ વાવણી

ઉત્તર ગુજરાતમાં ઉનાળુ સીઝન માટે કુલ 4,28,164 હેક્ટર જમીનનો અંદાજ રાખવામાં આવ્યો હતો. જેની સામે અત્યાર સુધીમાં 2,17,615 હેક્ટર વિસ્તારમાં વાવણીની પ્રક્રિયા આટોપી લેવામાં આવી છે, એટલે કે કુલ અંદાજના 50.83% વાવણી પૂર્ણ થઇ છે. અરવલ્લી જિલ્લો 88.78% અને મહેસાણા જિલ્લો 87.04% વાવેતર સાથે રેકોર્ડબ્રેક સ્પીડથી આગળ વધી રહ્યા છે અને ટૂંક સમયમાં જ અંદાજ મુજબનું વાવેતર પૂર્ણ થશે. જોકે, સૌથી મોટો વાવેતર વિસ્તાર ધરાવતા બનાસકાંઠામાં હજુ સુધી માત્ર 35.77% (64,056 હેક્ટર) જ વાવણી નોંધાઈ છે, જે દર્શાવે છે કે આ જિલ્લામાં હજુ મોટાભાગની જમીન પર વાવેતર બાકી છે 6 જિલ્લામાં વાવેતરની સ્થિતિ 1. મહેસાણા:પશુપાલનનો ગઢ, ઘાસચારાનું રેકોર્ડબ્રેક વાવેતર મહેસાણામાં 44,977 હેક્ટરના લક્ષ્યાંક સામે 39,148 હેક્ટર (87.04%) વાવણી પૂર્ણ થઈ છે. અહીં પશુપાલન મુખ્ય વ્યવસાય હોવાથી સૌથી વધુ 23,655 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર થયું છે. ઉત્તર ગુજરાતમાં માત્ર મહેસાણામાં જ ડાંગર (347 હેક્ટર) નું વાવેતર નોંધાયું છે, જે અન્ય જિલ્લાઓમાં શૂન્ય છે. 2. પાટણ: મર્યાદિત સાધનો વચ્ચે ઘાસચારા પર ભાર પાટણમાં 27,491 હેક્ટરના લક્ષ્યાંક સામે 18,235 હેક્ટરમાં (66.33%) વાવેતર થયું છે. ખેડૂતોએ પશુધનને બચાવવા 11,045 હેક્ટરમાં ઘાસચારો વાવ્યો છે. 6,230 હેક્ટરમાં બાજરીનું વાવેતર નોંધાયું છે. 3. બનાસકાંઠા: મોટો લક્ષ્યાંક, પણ રફ્તાર હજુ ધીમી બનાસકાંઠામાં સૌથી વધુ 1,79,092 હેક્ટરનો લક્ષ્યાંક છે, જેની સામે અત્યાર સુધી માત્ર 64,056 હેક્ટર (35.77%) જ વાવેતર થયું છે. અહીં મગફળી (14,598 હેક્ટર) નું વાવેતર અન્ય જિલ્લાઓ કરતા અનેકગણું વધારે છે. બાજરી (24,296 હેક્ટર) અને ઘાસચારો (19,857 હેક્ટર) પણ મુખ્ય પાકોમાં છે. 4. વાવ-થરાદ: બાજરીનો સૌથી મોટો હબ આ પંથકમાં 1,28,664 હેક્ટરના લક્ષ્યાંક સામે 59,095 હેક્ટરમાં (45.93%) વાવણી થઈ છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ બાજરીનું વાવેતર (45,741 હેક્ટર) આ વિસ્તારમાં નોંધાયું છે. અહીં શાકભાજી (5 હેક્ટર) અને અન્ય પાકોનું પ્રમાણ નહિવત છે, ખેડૂતો માત્ર ટકાઉ પાકો પર નિર્ભર છે. 5. સાબરકાંઠા: મકાઈ અને શાકભાજીનું કેન્દ્ર સાબરકાંઠામાં 30,662 હેક્ટરના લક્ષ્યાંક સામે 21,741 હેક્ટર (70.91%) વાવેતર સંપન્ન થયું છે. અહીં શાકભાજી (4,059 હેક્ટર) અને મકાઈ (1,124 હેક્ટર) નું વાવેતર અન્ય જિલ્લાઓ કરતા વધુ જોવા મળે છે. મગફળીનું 1,928 હેક્ટરમાં વાવેતર 6. અરવલ્લી: વાવેતરની ટકાવારીમાં સમગ્ર રીજનમાં ટોપર અરવલ્લી જિલ્લો ઉનાળુ વાવેતરમાં સૌથી આગળ છે. અહીં 17,278 હેક્ટરના લક્ષ્યાંક સામે 15,340 હેક્ટરમાં (88.78%) વાવેતર થઈ ગયું છે. ખેડૂતોએ સૌથી વધુ બાજરી (6,935 હેક્ટર) અને ઘાસચારા (4,706 હેક્ટર) પર ભાર મૂક્યો છે. અહીં મગ (584 હેક્ટર) અને શાકભાજી (2,065 હેક્ટર) નું પણ સપ્રમાણ વાવેતર જોવા મળે છે. સિઝનનો ઓવરઓલ ટ્રેન્ડ: બાજરી અને ઘાસચારો જ કેમ?કુલ વાવેતરમાં બાજરીનો હિસ્સો 44.36% અને ઘાસચારાનો હિસ્સો 36.66% છે. આનું મુખ્ય કારણ એ છે કે ઉનાળામાં પાણીની ખેંચ વચ્ચે આ પાકો ઓછા પાણીએ તૈયાર થાય છે અને પશુપાલકોને આર્થિક ટેકો પૂરો પાડે છે. શાકભાજીનું વાવેતર માત્ર 5.78% વિસ્તારમાં જ સીમિત રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:02 am

જાહેરનામું પ્રસિદ્ધ કરાયું:સાગબારા-બોરદાનો નવો બ્રિજ બનશે 5 સપ્ટેમ્બર સુધી વાહન માટે ડાયવર્ઝન

નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.કે. મોદીએ સાગબારા-બોરદા-શેરૂલા રસ્તા પર ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. પાટગામ પાસે જૂનો મેજર બ્રિજ તોડીને નવો બ્રિજ બનાવવાનો વર્ક ઓર્ડર અપાયો હોવાથી આ નિર્ણય લેવાયો છે. જાહેરનામા મુજબ, આ ડાયવર્ઝન આજથી 5 સપ્ટેમ્બર 2026 સુધી અમલમાં રહેશે. નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજપીપલા સ્ટેટ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને સૂચિત રસ્તા પર જરૂરી બોર્ડ અને બેરિકેટ્સ લગાવવા આદેશ અપાયો છે, જેથી વાહનચાલકોને મુશ્કેલી ન પડે.વાહનચાલકોની જાણકારી માટે રસ્તા પર નિયમાનુસાર જરૂરી દિશા-સૂચક બોર્ડ,બેરીકેટ્સ અને પ્રતિબંધિત પ્રવેશના ચિન્હો લગાવવાની જવાબદારી સ્ટેટ (મા.મ) વિભાગની રહેશે. રસ્તો બંધ હોવા અંગેના જરૂરી બોર્ડ-બેરિકેટ્સ લગાડવાની, વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની તથા તેને આનુષંગિક તમામ કામગીરી કાર્યપાલક ઈજનેર, સ્ટેટ (માર્ગ અને મકાન) વિભાગ, રાજપીપલાએ કરવાની રહેશે. આ જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી અમલમાં મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ કાયદેસરની શિક્ષાને પાત્ર થશે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

ભાસ્કર એનાલિસિસ:મનપામાં વોર્ડ દીઠ સરેરાશ 13,345 મતદારો, નગરપાલિકામાં 13,691 મતદારો હતા

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહેસાણા મહાનગરપાલિકાની પ્રાથમિક મતદાર યાદી સોમવારે જાહેર કરાઇ છે. જે મુજબ 13 વોર્ડમાં 89,653 પુરુષ અને 83,822 સ્ત્રી મળી કુલ 1,73,477 મતદારો નોંધાયા છે. નગરપાલિકા સમયે 11 વોર્ડમાં 1,50,605 મતદારો હતા. એટલે કે, નગરપાલિકા કરતાં બે વોર્ડ વધતાં મતદારોની સંખ્યા 22872 વધી છે. નગરપાલિકામાં વોર્ડ દીઠ સરેરાશ 13,690 મતદારો હતા. જેની તુલનાએ મહાનગરપાલિકામાં 13,345 મતદારો નોંધાયા છે. વિશેષજ્ઞના મતે, નગરપાલિકાની મતદાર યાદી SIR પહેલાંની હતી, જ્યારે SIR પ્રક્રિયામાં મૃતક, સ્થળાંતરિત અને ડુપ્લીકેટ મતદારો દૂર કર્યા બાદ નવી મતદાર યાદી તૈયાર કરવામાં આવતાં આ ફેરફાર જોવા મળે છે. મહાનગરપાલિકાની પ્રાથમિક મતદાર યાદી કલેકટર કચેરી, મનપા કચેરી તેમજ મનપાની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. મનપાના કુલ મતદારોમાં વોર્ડ નં.3 અને 12માં એક-એક મળી કુલ બે થર્ડ જેન્ડર મતદાર નોંધાયા છે. મહાનગરપાલિકાના અધિકારી સૂત્રોએ જણાવ્યું કે, મતદારોને જો કોઈ વાંધા કે સૂચનો હોય તો તેઓ 27મી તારીખ સુધી રજૂ કરી શકશે. ત્યાર બાદ 30 માર્ચ સુધીમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. હાલ મતદાન મથક માટેની દરખાસ્ત રાજ્ય ચૂંટણી આયોગને મોકલી આપવા કાર્યવાહી શરૂ કરાઈ છે. જેમાં વોર્ડ દીઠ બુથ વિસ્તાર અને મતદારો આવશે. આ વિસ્તારમાં મહેસાણા શહેર સાથે જોડાયેલા 19 ગામો અને 5 ગામોના ઓજી વિસ્તારનો સમાવેશ થાય છે. શહેરની કુલ વસ્તી 2,31,917 માંથી 74.80 ટકા લોકો મતદારો તરીકે નોંધાયા છે. પુરુષોમાં સૌથી વધુ વોર્ડ-4માં 8923 અને સૌથી ઓછા વોર્ડ-6માં 5132 મતદારો છે. મહિલામાં સૌથી વધુ વોર્ડ-4માં 8503 અને સૌથી ઓ છા વોર્ડ-10માં 4797 મતદારો છે. મતદાર યાદીમાં SIR અને રોજગારી બંનેની અસરનગરપાલિકા અને મહાનગરપાલિકા વચ્ચે વોર્ડ દીઠ સરેરાશ મતદારોમાં મોટા ફેરફાર ન થવાના બે મુખ્ય કારણો છે. SIR પ્રક્રિયા અને રોજગારી માટેનું સ્થળાંતર. મહાનગરપાલિકામાં ગામડાઓનો સમાવેશ થયો છે, પરંતુ રોજગારી માટેનું સ્થળાંતર પણ મોટું કારણ હોવાથી કુલ મતદારોની સંખ્યામાં મોટો ફેરફાર નોંધાયો નથી. હવે વોર્ડ દીઠ સરેરાશ મતદારોમાં મોટો તફાવત નથી એટલે વિસ્તાર વધવાથી રાજકીય પક્ષો માટે ચૂંટણીમાં મહેનત વધશે, પણ બહુ ફાયદો થવાનો નથી.> પ્રો.વિમલ વૈદ્ય મનપા વોર્ડ મુજબ મતદારો મહેસાણા વિધાનસભામાં SIR‎પછી 40,372 મતદારો ઘટ્યા‎મનપા વિસ્તાર મહેસાણા‎વિધાનસભા ક્ષેત્રમાં આવે છે.‎SIR પહેલાં અહીં કુલ 2,90,894‎મતદારો હતા, જ્યારે SIR બાદ‎આ સંખ્યા ઘટીને 2,50,522 થઈ‎છે. એટલે કુલ 40,372‎મતદારોનો ઘટાડો નોંધાયો છે.‎

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

રાજકારણ:સાવરકુંડલામાં આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી 20 વકીલો પક્ષમાં જોડાયા

સાવરકુંડલા ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાની આગેવાનીમાં સંગઠનની મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં 20થી વધારે નામી વકીલો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.જેમાં એડવોકેટ, નોટરી હિંમતભાઈ બગડા, અમિતભાઈ રાઠોડ, ગોપાલભાઈ વિરાણી, ઈરફાનભાઈ સુમરા, દિનેશભાઈ બગડા, લલિતભાઈ ચૌહાણ, અતુલભાઈ ડાભી, અશોકભાઈ વિંઝુડા, દિનેશભાઈ વેગડા, હર્ષદભાઈ સોંદરવા, બાબુભાઈ ડેરૈયા, વિજયભાઈ રાઠોડ, બાબુભાઈ રાઠોડ, ભરતભાઈ ખુમાણ, પ્રશાંતભાઈ ડાભી, મહેશભાઈ મકવાણા સહિતના જોડાયા હતાં. સાવરકુંડલા તાલુકાના ખેડૂત યુવા આગેવાન પિયુષભાઈ સાવલિયા, ભરતભાઈ સાવલિયા, રાહુલભાઈ મોલડીયાએ વિધિવત રીતે ગુજરાત સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા અને દિલ્હી મ્યુનિસિપાલિટીના પૂર્વ મેયર મહેશભાઈ ખીશીના હાથે ખેસ પહેરીને આપની પાર્ટીમાં જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

રહીશો પરેશાન:સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામમાં ઠેર- ઠેર ગટરો ઉભરાતા ગ્રામજનોમાં રોગચાળાની ભીતિ

સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે ગટરો ઉભરાતા ગ્રામજનોમાં રોગચાળાની ભીતિ સતાવી રહી છે. કરજાળા ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠેર ઠેર ગટરો ઉભરાવાની સમસ્યા ગંભીર બની રહી છે. ગામના વિવિધ વિસ્તારોમાં ગટરનું ગંદુ પાણી રોડ ઉપર ફરી વળતા ગામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કરજાળા ગામની શાળા, આંગણવાડી આસપાસ તેમજ રહેણાંક વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર ગંદકી ફેલાતા ગંદકી અને અસ્વચ્છતા જોવા મળી રહી છે. ગટરોનું ગંદુ પાણી સતત ઉભરાતા દૂષિત પાણીના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે જેના કારણે ગ્રામજનોમાં રોગચાળાની ભીતિ વ્યાપી છે. મચ્છર અને જીવાતોનું પ્રમાણ વધતા ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગો ફેલાવાની શક્યતા વધતી જાય છે. ગટરોની સમસ્યા છેલ્લા ઘણા સમયથી ચાલુ છે. છતાં ગ્રામ પંચાયતના સતાધીશો અને અધિકારીઓ દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. ગ્રામજનો દ્વારા ઘણીવાર રજૂઆત કરવા છતાં સમસ્યાને ઠાલવવામાં આવી રહી છે. જેના કારણે હાલત વધુ બગડી રહી છે. કરજાળા ગામના આગેવાનો અને રહેવાસીઓએ તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગટરોની સફાઈ, લાઇન રિપેરિંગ અને નિયમિત દેખરેખ રાખી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સાથે આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગ અને દવાઓના છંટકાવ જેવી કામગીરી પણ કરજાળા ગામમાં તાત્કાલિક શરૂ કરવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

નવી મતદારયાદી જાહેર:અમરેલીમાં પંચાયત, નગરપાલિકાની ચૂંટણી માટે મતદાર યાદી જાહેર કરાઇ

અમરેલીમાં આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે. મતદારોને પોતાના નામ અને વિગતો ચકાસી લેવા અપીલ કરાય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી હોવાથી નવી મતદારયાદી આજે જાહેર કરાઇ છે. જેને ચકાસી લેવા જિલ્લા ચૂંટણી અધિકારીએ લોકોને અપીલ કરી છે. આગામી સમયમાં અમરેલી, વડિયા-કુંકાવાવ, લાઠી, બાબરા, ધારી, બગસરા, ખાંભા, સાવરકુંડલા, લીલીયા, રાજુલા અને જાફરાબાદ તાલુકાઓમાં તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાનાર છે. ઉપરાંત અમરેલી, સાવરકુંડલા, બાબરા, બગસરા, દામનગર અને ધારી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પણ યોજાશે. મતદારો પોતાની વિગતો ચકાસી શકે તે માટે ગ્રામ્ય વિસ્તારોની મતદાર યાદી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે મુકવામાં આવી છે. જ્યારે શહેરી વિસ્તારોમાં સંબંધિત નગરપાલિકા કચેરી, મામલતદાર કચેરી તેમજ નગરપાલિકાના વોર્ડના જાહેર સ્થળોએ મતદાર યાદી જોવા મળશે. મતદાર યાદીમાં પોતાનું નામ અને વિગતો ચોક્કસપણે ચકાસી લે અને જો કોઈ સુધારો કે ફેરફાર જરૂરી હોય તો નિયમ મુજબ રજૂઆત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

વાતાવરણ:અમરેલીમાં ફરી ગરમી વધી મહત્તમ તાપમાન 36.9 ડિગ્રી

અમરેલીમાં આજે ફરી તાપમાનમાં વધારો થયો હતો. મહત્તમ તાપમાન 36.9 ડિગ્રી પર પહોંચતા ગરમી વધી હતી. તડકાની તીવ્રતા વધતા લોકોએ બપોરના સમયે ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું. અમરેલીમાં આજે મહત્તમ તાપમાન 36.9 ડિગ્રી રહ્યું હતું. જ્યારે ન્યુનત્તમ તાપમાન 20.6 ડિગ્રી નોંધાયું હતું. ગઈકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. જેના કારણે આકરી ગરમી પડી હતી. હવામાં ભેજનું પ્રમાણ 68 ટકા નોંધાતા ગરમી સાથે ઉકળાટનો અનુભવ થયો હતો. બપોરના સમયે અમરેલીના માર્ગો સુમસામ બન્યા હતા. પવનની ગતિ પ્રતિ કલાક 4.5 કિલોમીટર રહી હતી. જેના કારણે ગરમીમાં ખાસ રાહત મળી ન હતી.કમોસમી વરસાદ બાદ ફરી આજે અમરેલીના તાપમાનમાં વધારો થતા આકરી ગરમી પડતા રોગચાળામાં વધારો થયો છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

આયોજન:બાબરાના ગરણી નજીક શક્તિધામ આશ્રમમાં ચૈત્રી નવરાત્રિ રાસોત્સવ

બાબરાના ગરણી ગામ નજીક આવેલા શક્તિધામ આશ્રમ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. નોરતાના નવ દિવસ અહીં ભક્તો પોતાની આસ્થા પ્રમાણે પૂજા અર્ચના કરે છે. ત્યારે આજે આ પરિસરમાં રાસોત્સવનો આજથી પ્રારંભ કરાયો છે. વાલબાઈમાંની પવિત્ર જગ્યાએ યોજાયેલા લોકપ્રિય લોકગાયક જયદાન ગઢવી, જશુબેન આહિર, રાહુલ બારોટ અને હર્ષાબેન બારોટ સહિતના કલાકારોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમ દરમિયાન બહેનો પરંપરાગત વેશભૂષામાં રાસ-ગરબા રમતા જોવા મળી રહ્યાં હતાં. સમુહ આરતીમાં ભાવિકો ઉમટી પડ્યા.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

ફરિયાદ:રાજુલામાં PGVCLના નાયબ ઈજનેરને મારી નાખવાની ધમકી

રાજુલા PGVCLના નાયબ ઇજનેર મહેન્દ્રભાઈ મનુભાઈ શીયાળ (ઉ.વ.36) મિશન માર્ચ અંતર્ગત બાકી રહેલા વીજબીલોની વસુલાત તથા ડિસકનેક્શનની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે ગઈ કાલે બપોરે તેઓ સાથી કર્મચારીઓ સાથે રાજુલા આગરીયા જકાતનાકાથી આગળ પુલ પાસે ભડીયા રોડ ઉપર આવેલ એક વાડી ખાતે વીજબીલની વસુલાત માટે પહોંચ્યા હતા. આ વાડીમાં A1 કેટેગરીનું ખેતીવાડી વીજ કનેક્શન હંસાબેન ગભરૂભાઈ બોરીચાના નામે હતું અને રૂ.4.2 હજાર જેટલું વાર્ષિક વીજબીલ બાકી હતું. આ બાકી રકમ વસુલવા અધિકારીઓ વાડી પર ગયા હતા. આ દરમિયાન છતડીયા ગામના દાનુ સાદુળભાઈ ખાચર એ ફોન પર ટીમ સાથે વાતચીત કરી વીજબીલ ભરવાની ના પાડી હતી. ઉપરાંત અપશબ્દો કહી મારી નાખવાની ધમકી આપી હતી આ ઉપરાંત દાનુએ રાજુલા PGVCL કચેરીએ પહોંચી મહેન્દ્રભાઈ તથા અન્ય કર્મચારીઓને ધમકીઓ આપી સરકારી ફરજમાં અડચણ ઉભી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ અંગે નાયબ ઇજનેર મહેન્દ્રભાઈ શીયાળે રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસએ દાનુ સાદુળભાઈ ખાચર સામે સરકારી કર્મચારીની ફરજમાં અડચણ ઉભી કરવી અને મારી નાખવાની ધમકી આપી હતી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

ભાસ્કર એક્સક્લુસિવ‎:ચોમાસાં પહેલા ખેડૂતોને ધાબડવા બનાવેલો 800 કિલો શંકાસ્પદ બિયારણનો જથ્થો નદીના પટમાંથી ઝડપાયો

અમરેલી જિલ્લો ખેતીવાડી પર નભી રહ્યો છે અને રાજકીય રીતે પણ ખેડૂત નેતાઓનો પ્રદેશ ગણાય છે. છતાં આ વિસ્તારમાં સૌથી વધુ છેતરપીંડી ખેડૂતો સાથે થઈ રહી છે. જેનું ઉદાહરણ આજે શેત્રુંજીના પટ્ટમાં જોવા મળ્યું હતું. જ્યા અજાણ્યા શખ્સો કોઈ કારણે કપાસના કોટેડ બિયારણનો 800 કિલો જેટલો ફેંકી ગયા હતા. ખેતીવાડી વિભાગે તો આ દિશામાં તપાસ કરવાની પણ તસ્દી લીધી નથી. આ ઘટના આજે અમરેલી-સાવરકુંડલા રોડ પર મોટા ગોખરવાળા ગામ નજીક શેત્રુંજી નદીના પટ્ટમાં બની હતી. જ્યા મુખ્ય રસ્તાથી એક કિલોમીટર અંદરની સાઈડમાં કોઈ અજાણ્યા શખ્સો કપાસનું બિયારણ ફેકીં ગયા હતા. આ તમામ બિયારણ લુઝ હાલતમાં હતું અને 20-20 કિલોની બોરીમાં ભરેલું હતું. કોઈ અજાણ્યા શખ્સો આ બિયારણની આવી 40 બોરી વાહનમાં ભરી અને ફેકીં ગયા હતા. આ અંગે સ્થાનિક લોકોને જાણ થતા ખેતીવાડી વિભાગ અને પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. જેને પગલે બંને ખાતાના અધિકારી અને કર્મચારી અહીં દોડી આવ્યા હતા. જો કે ખેતીવાડી વિભાગે તો આ તમામ બિયારણ લુઝ હાલતમાં હોય તે બિયારણની વ્યાખ્યામાં આવતું ન હોવાનું કહી હાથ ઉંચા કરી દીધા હતા. જ્યારે અમરેલી તાલુકા પોલીસે આ બારામાં જાણવા જોગ દાખલ કરી હતી. ઉપરાંત આ બિયારણ કેમિકલથી કોટેડ હોય તેને જેસીબીની મદદથી ખાડો ખોદી દાટી દઈ તેનો નાશ કરાયો હતો. સામાન્ય રીતે ચોમાસાં પહેલા આ વિસ્તારના ખેડૂતો જાણીતી કંપનીઓનું પેકીંગમાં મળતું કોટેડ બિયારણ ખરીદે છે જે બધુ રાજ્યના અન્ય જિલ્લામાં બને છે. અમરેલી પંથકમાં કપાસનું બિયારણ કોઈ કંપની બનાવતી નથી. ત્યારે આ પ્રકારનું બિયારણ જાણીતી કંપનીઓના નામે નકલી પેકીંગ બનાવી વેચવાનું કૌભાંડ હોવાની શંકા સેવાઈ રહી છે. પરંતુ આ દિશામાં કોઈ તપાસ શરૂ કરાય નથી. મગફળી કે અન્ય બિયારણ ખેડૂતો જાતે બનાવે છે પરંતુ કપાસનું બિયારણ ખેડૂતો હવે જાતે બનાવતા નથી. તેટલું જ નહી લુઝમાં ખરીદતા પણ નથી. છતાં અહીં આટલો મોટો લુઝ બિયારણનો જથ્થો મળવો તે જ નકલી બિયારણ કૌભાંડની દિશામાં આંગળી ચિંધે છે. લેબોરેટરી કે તપાસ કરવાની થતી નથી: ડેપ્યુટી ડાયરેકટર અમારા કાયદા મુજબ લુઝ વસ્તુ બિયારણની વ્યાખ્યામાં આવતી નથી. તેનું ઉત્પાદન એક્સપેરી ડેટ વિશે માહિતી ન હોય તેની લેબોરેટરી કે તપાસ કરવાની થતી નથી. > બી. એસ. પીપળીયા, ખેતીવાડી વિભાગના ડેપ્યુટી ડાયરેકટર

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

રામનવમી નિમિત્તે ભવ્ય આયોજન:નવનિર્મિત શ્રીરામ મંદિરમાં રામલલ્લાનો જન્મોત્સવ યોજાશે

મહેસાણા શ્રી રામ સેવા સમિતિ દ્વારા 27 માર્ચને ગુરુવારે 45મી રામનવમી નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું છે. 45 વર્ષમાં પહેલીવાર રામલલ્લાનો જન્મોત્સવ અને મહાઆરતી નવનર્મિત શ્રીરામ મંદિરમાં યોજાશે. ગુજરાતની સૌથી મોટી રથયાત્રા ગણાતી આ યાત્રામાં જિલ્લાના 120 ગામોના ભક્તો જોડાશે. સવારે 9:30 વાગ્યે રથમાં મૂર્તિઓની સ્થાપના બાદ બપોરે 2 વાગ્યે તોરણવાળી માતાના ચોકથી રથયાત્રાનું પ્રસ્થાન થશે. આ રથયાત્રા તોરણવાળી ચોકથી નીકળી રેલવે સ્ટેશન થઈ રાજમહેલ રોડ, ગોપીનાળા, ડેરી રોડ, રાધનપુર ચોકડી, મોઢેરા ચોકડી, એસટી વર્કશોપ રોડ, ભમ્મરીયા નાળા, રબારીવાસ, કરબા, ઊંચી શેરી, પટવાપોળ, વી.કે. વાડી, ભોંયરાવાસ, સિદ્ધપુરી બજાર, આઝાદચોક થઈ 7 કિમીના રૂટ પર પરિભ્રમણ કરી રાત્રે 10 વાગ્યે તોરણવાળી માતાના ચોક પર પરત ફરશે. યાત્રા દરમિયાન ભક્તો માટે અનેક સેવાસ્ટોલ ઉભા કરવામાં આવશે. પરા રામજી મંદિરથી 50 કિલો પુષ્પવર્ષા‎સાથે રામનવમીની રથયાત્રા પ્રસ્થાન કરશે‎મહેસાણા શહેરના પરા રામજી મંદિર ખાતે રામનવમીને લઇ ગુરૂવારે બપોરે 12 કલાકે શ્રીરામ જન્મોત્સવની ઉજવણી કરાશે. ચોકમાં આરતી બાદ સાધુ-સંતોના આશીર્વચન બાદ બપોરે 1.30 કલાકે રથને પ્રસ્થાન કરાવાશે. આ સમયે ક્રેઇન દ્વારા 50 કિલો ગુલાબની પુષ્પવર્ષા કરાશે. ભગવાન શ્રીરામ, માતા સીતા અને ભાઇ લક્ષ્મણ સાથેની આ રથયાત્રા પરાથી પ્રસ્થાન કરશે. આ રથયાત્રા જૂનાપરા થઈ લાખવડી ભાગોળ, વી.કે.વાડી, પટવાપોળ, આઝાદ ચોક, સમર્પણ ચોક, ગાયત્રી મંદિર રોડ, માનવ આશ્રમ ચોકડી, પાટીદારનગર, ઊંડીફળી ભીલા પાટીદાર માઢ થઈને 7 કિલોમીટરના રૂટ પર પરિભ્રમણ કરશે. રથયાત્રાના આકર્ષણો‎

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

વિશ્વ ટીબી દિવસ:ક્ષયના દર્દીઓ માટે આશાનું કિરણ, જામનગરની મેડિકલ કોલેજનું રેસ્પિરેટરી મેડિસિન-TB સેન્ટર

જામનગરની એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ તથા ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલના રેસ્પિરેટરી મેડિસિન વિભાગ અને નોડલ ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ (DR-TB) સેન્ટર દ્વારા ક્ષય રોગ નિયંત્રણ અને સારવાર ક્ષેત્રે ઉલ્લેખનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ કેન્દ્ર જામનગર જિલ્લા ઉપરાંત રાજકોટ, મોરબી, જૂનાગઢ, પોરબંદર, દીવ, ગીરસોમનાથ અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓ માટે એક વિશિષ્ટ રેફરલ કેન્દ્ર તરીકે કાર્યરત છે, જ્યાં સામાન્ય ક્ષય રોગ ઉપરાંત મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી (MDR-TB) તથા એક્સટેન્સિવલી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી (XDR-TB) જેવા જટિલ કેસોની રાષ્ટ્રીય માર્ગદર્શિકા મુજબ વૈજ્ઞાનિક સારવાર કરવામાં આવે છે. વર્ષ 2025 દરમિયાન આશરે 1015 જેટલા સામાન્ય ટીબીના દર્દીઓ અને 159 જેટલા ગંભીર ટીબીના દર્દીઓને સારવાર હેઠળ મૂકવામાં આવ્યા છે. વિભાગના વડા પ્રોફેસર ડૉ. ઈવા ચેટરજીના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ વિભાગમાં દર્દીઓને માત્ર દવા જ નહીં, પરંતુ માનવતાપૂર્ણ અભિગમ સાથે કાઉન્સેલિંગ અને માનસિક ટેકો પણ પૂરો પાડવામાં આવે છે, જેથી તેઓ લાંબી અને જટિલ સારવાર સફળતાપૂર્વક પૂર્ણ કરી શકે.ક્ષયરોગના ઉપચારમાં પોષણનું મહત્વ અત્યંત હોવાથી નિક્ષય પોષણ યોજના અંતર્ગત દર્દીઓને મળતી સરકારી સહાય સમયસર મળે તે માટે સંકલિત પ્રયત્નો કરવામાં આવે છે. શૈક્ષણિક ક્ષેત્રે પણ આ વિભાગ પોસ્ટ ગ્રેજ્યુએટ અને અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ક્લિનિકલ તાલીમ આપીને સારવારની ગુણવત્તા સુધારવા સતત પ્રયત્નશીલ છે. 24 માર્ચ વિશ્વ ટીબી દિવસ નિમિત્તે વિભાગ દ્વારા ટીબી હારશે, દેશ જીતશેના લક્ષ્ય સાથે દરેક શ્વાસને કિંમતી ગણી દર્દીઓની સેવા કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

કામગીરી:જામનગરમાં વેરો ન ભરનાર વધુ ત્રણ આસામીઓની મિલકતો સીલ કરતું તંત્ર

જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખાની રિકવરી ટીમે કડક ઉઘરાણી યથાવત રાખી છે અને સોમવારના રોજ વધુ ત્રણ મિલકતો સીલ કરવામાં આવી છે. વેરો ન ભરનારા આસામીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જામ્યુકોના મિલકતવેરા શાખાની રીકવરી ટીમે કડક કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે સોમવારે બાકી વેરો ઉઘરાવવા માટે ટેક્સ ઓફિસર હસમુખ પાંડેર તેમજ ટીમના ટેક્સ ઈન્સ્પેકટર વિજય ભટ્ટી, અભિજીતસિંહ જાડેજા, શક્તિસિંહ ગોહિલ સહિતની ટીમે કામગીરી હાથ ધરી હતી. જેમાં બેડેશ્વરમાં હર્ષિદાબેન અશોકકુમાર બદિયાણીએ રૂ.2,33,525નો મિલકતવેરો તેમજ વામ્બે આવાસાની બાજુમાં મયુરનગરમાં ખોડાભાઈ લિંબાભાઈ વકાતરે રૂ.58,058 અને મયુરનગરમાં જ મેઘાભાઈ લિંબાભાઈ વકાતરે રૂ.58058 મિલકતવેરો ન ભરતા તેની મિલકતો સીલ કરવામાં આવી છે. જેથી તે વિસ્તારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. છેલ્લા એક માસમાં રીકવરી ટીમ દ્વારા 40થી વધુ મિલકતો સીલ કરવામાં આવી છે. 100 ટકા વ્યાજમાફીના 7 દિ' બાકી જામ્યુકોએ ચાલુ નાણાંકિય વર્ષ 2025-26માં તા.13 ફેબ્રુઆીથી તા.31 માર્ચ સુધી મિલકત વેરા, પાણી ચાર્જ અને વ્યવસાય વેરામાં 100 ટકા વ્યાજમાફી તથા કારખાના લાઈસન્સ અને ભાડાની રકમ ઉપર ચડત પેનલ્ટીમાં 100 ટકા વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી હતી. જઆ યોજના હવે માત્ર 7 દિવસ જ બાકી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

વાતાવરણ:મહત્તમ તાપમાનમાં વધારા સાથે 34.5 ડિગ્રી

જામનગરમાં કમોસમી વરસાદ વાદળો વિખેરાતા ફરી સુર્યદેવતા આકાશમાંથી અગળગોળા વરસાવાનું શરુ કર્યુ છે, મહત્તમ તાપમાન 34.5 ડિગ્રીએ પહોંચી ગયું છે. લોકો દિવસે ગરમીમાં અકળાઈ ઉઠ્યા હતા. કમોસરી વરસાદ વાદળો વિખેરાતા ફરી એક વખત જામનગરમાં તાપમાનમાં વધારા ધીમે ધીમે શરૂ થયો છે અને છેલ્લા ત્રણ દિવસમાં તાપમાનમાં 3.5 ડિગ્રીનો વધારો થયો છે. આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાકની વાત કરીએ તો મહત્તમ તાપમાનનો પારો અઢી ડીગ્રી સુધી ઊંચકાયને 34.5 ડિગ્રીએ પહોંચી ગયો હતો. જ્યારે લઘુત્તમ તાપમાનમાં એક ડીગ્રીના વધારા સાથે 23.5 ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે ગરમીમાં પણ વધારો થયો છે. બપોરે આકરા તાપથી પ્રજાજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જામનગરમાં સોમવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ 11 ટકા ઘટીને 68 ટકા રહ્યું હતું. પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ 10 થી 20 કિ.મી.ની રહેવા પામી હતી. પવનની ગતિ વધતા સાંજથી મધ્યરાત્રી દરમિયાન સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરવા લાગી હતી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

કામગીરી:હાલારમાં વીજતંત્ર દ્વારા 29,412 બાકીદારો પાસે 15.71 કરોડની વસૂલાત માટે કવાયત

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિજતંત્ર દ્વારા હજુ બાકીદાર 28,231 ગ્રાહકો પાસેથી રૂા.15.71 કરોડની વસુલાત માટે ચાલુ માસમાં જ આજે બીજી મેગા ડીસ કનેકશન ડ્રાઇવ હાથ ધરવામાં આવશે.જેમાં વિવિધ 36 પેટા વિભાગીય કચેરીઓમાં વિશેષ ઝુંબેશ માટે 360 જેટલી ટીમ દ્વારા સવારથી કાર્યવાહી હાથ ધરાશે. જામનગર-દેવભૂમિમાં વીજ તંત્ર દ્વારા નાણાકિય વર્ષ માર્ચ- 2026 દરમિયાન વીજ બીલ પેટે કુલ 58,915 બાકીદાર પાસેથી રૂા. 28.57 કરોડ જેટલી બાકી વસુલાત માટે એકાદ માસથી વિશેષ ઝુંબેશ શરૂ કરાઇ છે.જે સાથે જ બાકીદારોના વીજ જોડાણો કાપવા માટે દૈનિક ઘોરણે પણ 250થી વધુ ટીમ દ્વારા કાર્યવાહી અંતર્ગત મીટર કે સર્વિસ અથવા જરૂર પડયે ટીસી ઉતારવા માટે ખાસ ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે. જેના પગલે હાલ માર્ચ સુધીમાં 28,231 બાકીદારો દ્વારા વીજ બીલના રૂા. 11.02 કરોડ ભરપાઇ કરાયા હતા જયારે 1272 જેટલા બાકીદારોએ રૂા. 1.84 કરોડની રકમ ભરપાઇ ન કરતા તેઓના વીજજોડાણો કાપી નાખ્યા હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ. જયારે હજુ 29,412 બાકીદારોના રૂા. 15.71 કરોડની વસુલાત કામગીરી અવિરત રખાઇ છે જેમાં મંગળવારે વીજ વિભાગ દ્વારા જામનગર અને દેવભૂમિમાં મેગા ડીસ કનેકશન ડ્રાઇવ હાથ ધરવામાં આવશે.જેમાં ખાસ 360 ટીમો જોડાશે. વીજ વિભાગ દ્વારા ઓનલાઇન સહિત વિવિધ માધ્યમથી નાણાની ચુકવણી માટે ખાસ વ્યવસ્થા પણ ગોઠવાઇ છે. અત્રે ઉલ્લેખનીય છેકે, જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા બાકી રોકાતી માતબર રકમની વસુલાત માટે દૈનિક કામગીરી સાથે સમયાંતરે મેગા ડિસકનેકશન ડ્રાઇવ પણ યોજાય છે. ફેબ્રુ.-માર્ચની ખાસ ડ્રાઇવમાં 10,273 જોડાણો કટ્ટ થયા'તા જામનગર પીજીવીસીએલની વર્તુળ કચેરી દ્વારા ગત 25મી ફેબ્રુઆરીના રોજ ખાસ ડ્રાઇવ યોજાઇ હતી જેમાં વીજતંત્ર દ્વારા બાકીદારોના 5,598 વીજ જોડાણ કાપવામાં આવ્યા હતા.જયારે ગત સપ્તાહે યોજાયેલી બીજી ખાસ ડ્રાઇવમાં પણ વીજતંત્રે 4,673 વીજજોડાણ જે તે સમયે ડીસ કનેકટ કર્યા હતા.જોકે,જે તે ગ્રાહકો બાકી રકમ ભરપાઇ કરે ત્યારે નિયમોનુસાર તેઓના વીજજોડાણ વીજતંત્રે જે તે સમયે પુર્વવત કર્યા હોવાનુ વીજ વિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ. 24મી માર્ચે વીજ તંત્ર દ્વારા બાકી લેણાની વસૂલાત માટે વધુ એક મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

કાર્યવાહી:મેઘપરના ચીટીંગ ગુનામાં શખસ પંદર વર્ષે પકડાયો

જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશનના ચીટીંગના ગુનામાં છેલ્લા 15 વર્ષથી નાસતા-ફરતા શખસને પંજાબથી મેઘપર પોલીસે પકડીને જામનગર લાવીને રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. મેઘપર પોલીસ સ્ટેશનના ચીટીંગના ગુનામાં ગુરભેજસિંઘ ઉર્ફે ગુરપેજસિંઘ મુખ્તારસિંઘ (રે.પંજાબ તરન તારન જિલ્લાના ચક સિકંદર ગામ) નામનો શખસ છેલ્લા 15 વર્ષથી પોલીસથી નાસતો-ફરતો હતો. હાલ આરોપી પોતાના ગામમાં રહેણાંકે હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પીઆઈ પી.ટી.જયસ્વાલની સુચનાથી ટીમના પીએસઆઈ એ.જી.જાડેજા તેમજ ટીમના ધર્મેન્દ્રસિંહ રમુભા ઝાલા, નિર્મળસિંહ મનુભા જાડેજા સહિતની ટીમે પંજાબ ખાતે રવાના થઈ હતી. પંજાબ પોલીસને સાથે રાખીને આરોપી ગુરભેજસિંઘને પોતાના ઘરેથી ઝડપી લઈને જામનગર લાવ્યા હતા અને કોર્ટમાં રજુ કરીને રીમાન્ડની તજવીજ હાથ ધરી છે. લગભગ દોઢ દસકા પૂર્વેના ચીટીંગના ગુનામાં સંડોવાયેલા આરોપીની સ્થાનિક પોલીસે વિધિવત ધરપકડ કરી સમગ્ર પ્રકરણ મામલે ઘનિષ્ઠ પૂછપરછ સાથે તપાસનો દૌર આગળ ધપાવ્યો છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

ધરપકડ:છેલ્લા 2 મહિનાથી નાસતો ફરતો સુરતનો શખ્સ મધ્યપ્રદેશથી ઝબ્બે

બોટાદ વિભાગીય પોલીસ અધિક્ષકની ટીમે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના મારામારીના ગંભીર ગુનામાં છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશના પરદા ગામ ખાતેથી ઝડપી લીધો હતો. આ બનાવ અંગે પોલીસ વર્તુળના જણાવ્યા પ્રમાણે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં બે માસથી નાસતો ફરતો મુખ્ય આરોપી સંજય મથુરભાઇ ખસીયા (મુળ બોટાદ, હાલ રહે એચ.આર.પી. બંગ્લોઝ, કેનાલ રોડ, કામરેજ-સુરત) છેલ્લા બે માસથી નાસ્તો ફરતો હોઇ જેને ઝડપી લેવા બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલ દ્વારા બોટાદ ડિવિઝનની ટીમની રચના કરાઈ હતી. ટેકનીકલ તેમજ હ્યુમનસોર્સથી બાતમી મળેલ કે, બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં પકડવાનો બાકી મુખ્ય આરોપી સંજય મથુરભાઇ ખસીયા હાલ મધ્યપ્રદેશના મનાસા તાલુકાના પરદા ગામ ખાતે વાડી વિસ્તારમાં હોવાની હકિકત મળતાં બોટાદ એલસીબી પીઆઈ તથા ટીમની ટેકનિકલ મદદ મેળવી બોટાદ ડિવિઝનની ટીમ દ્વારા મધ્યપ્રદેશના મનાસા તાલુકા ખાતે જઇ તપાસ કરતાં આરોપીને ઝડપી લઇ પોલીસ જાપ્તા સાથે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

કૃષિ જગત:ભદ્રાવડીના ખેડૂતે નેટહાઉસ દ્વારા બાગાયતી ક્રાંતિ સર્જી‎

બોટાદ જિલ્લાના ભદ્રાવડી ગામના 45 વર્ષીય પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ દેલવાડીયાએ સરકારની ‘રક્ષિત ખેતી’ યોજનાનો લાભ મેળવીને બાગાયતી ખેતીમાં નવી રાહ ચીંધી છે. શું છે રક્ષિત ખેતી? રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2014-15થી અમલમાં મૂકાયેલી આ યોજનાનો મુખ્ય હેતુ નાના ખેડૂતોની આવક બમણી કરવાનો છે. આ પદ્ધતિમાં શેડ-નેટ હાઉસ બનાવીને પાકને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. તેનાથી પાકને અતિશય ગરમી, ઠંડી, કમોસમી વરસાદ અને જીવાતોથી રક્ષણ મળે છે. નેટહાઉસમાં સૂર્યપ્રકાશનું નિયંત્રણ થતું હોવાથી ભેજ જળવાય રહે છે અને ઓછા પાણીમાં પણ શાકભાજી કે ફૂલોનો ઉછેર શક્ય બને છે. ભદ્રાવડી ગામના ખેડૂતની સફળતાની ગાથા: ખેડૂત પરિવારમાંથી આવતા અશોકભાઈ પાસે 90 વીઘા જમીન છે, જેમાં તેઓ વર્ષોથી ઋતુ મુજબ પાક લેતા હતા. પરંતુ વધુ વળતર મેળવવાના આશયથી તેમણે અન્ય ખેડૂત મિત્રો પાસેથી માહિતી મેળવી બોટાદ જિલ્લા બાગાયત કચેરીનો સંપર્ક કર્યો હતો. માર્ગદર્શન મળ્યા બાદ તેમણે વર્ષ 2024-25માં રક્ષિત ખેતી યોજના હેઠળ સબસીડી મેળવી પોતાના ખેતરમાં નેટહાઉસ તૈયાર કર્યું છે. અશોકભાઈ જણાવે છે કે, આ પદ્ધતિમાં ગુલાબ, જર્બેરા જેવા ફૂલો ઉપરાંત કેપ્સિકમ, બ્રોકોલી અને કાકડી જેવા પાકોનું ઉત્તમ ઉત્પાદન મેળવી શકાય છે. નેટહાઉસ તૈયાર કરવા રૂ.24 લાખનો ખર્ચ થાય છે. : અશોકભાઈ ખેડૂતઆ તકે અશોકભાઈએ જણાવ્યું હતું કે, એક એકર જમીન દીઠ નેટહાઉસ તૈયાર કરવા રૂ.24 લાખનો ખર્ચ થાય છે. પરંતુ, સરકાર દ્વારા તેઓને રૂ.16.50 લાખ સુધીની સબસીડી મળતાં આર્થિકરીતે ઘણો લાભ થયો છે. તેઓએ નેટ હાઉસમાં કાકડીનું વાવેતર કર્યું છે, જે એક એકરમાં સરેરાશ રૂ.8500ના બિયારણ અને લેબર તથા અન્ય ખર્ચાઓ સહિત રૂ.2.5લાખનું રોકાણ સામે 40 થી 60 ટન જેટલું ઉત્પાદન કરે છે. તેઓ વર્ષ દરમિયાન ઋતુ પ્રમાણે વધુમાં વધુ ત્રણ પાકોનું વાવેતર કરે છે. જેના પર બજાર ભાવ પ્રમાણે ચોખ્ખો નફો પણ પ્રાપ્ત થાય છે. તેઓના પિતરાઈ કમલેશભાઈ દેલવાડિયાએ પણ આ વર્ષે રક્ષિત ખેતી અન્વયે સબસીડીનો લાભ લીધો છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

ચૈત્ર સુદ નોમથી તેરસ સુધી પાંચ દિવસીય મહોત્સવ:માધવપુરનો રાષ્ટ્રીય લોકમેળો :કૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહની પૌરાણિક ગાથા સાથે આયોજન

સોરઠની સંસ્કૃતિ, સમૃદ્ધિ અને સાધુતાનું અનોખું પ્રતિબિંબ ગણાતો માધવપુર (ઘેડ)નો રાષ્ટ્રીય લોકમેળો હવે ઢુકડો આવ્યો છે. તા. 27 માર્ચથી 31 માર્ચ 2026 દરમિયાન યોજાનાર આ પાંચ દિવસીય લોકમેળામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્મણીના પૌરાણિક વિવાહ પ્રસંગની સ્મૃતિઓ સાથે લાખો ભાવિકોની ઉપસ્થિતિ નોંધાશે. શિક્ષણવિદ ડો. એ.આર. ભરડાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના સાગરકાંઠે પોરબંદર-માંગરોળ વચ્ચે આવેલું માધવપુર દર વર્ષે ચૈત્ર સુદ 9થી 13 દરમિયાન ધાર્મિક, સાંસ્કૃતિક અને લોકજીવનના સંગમરૂપ મહોત્સવ તરીકે ખીલે છે.આ પાંચ દિવસ દરમિયાન સમગ્ર પંથકમાં વિવાહમય વાતાવરણ છવાઈ જાય છે, જાણે ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્મણીના લગ્ન ફરી જીવંત બની ગયા હોય તેવી અનુભૂતિ થાય છે. પૌરાણિક માન્યતાઓ મુજબ શ્રીમદ ભાગવતના દશમ સ્કંધમાં માધવપુરનો ઉલ્લેખ જોવા મળે છે. માન્યતા છે કે વિદર્ભની રાજકુમારી રૂક્મણીને શ્રીકૃષ્ણે હરણ કરી મધુવનમાં વિધિવત લગ્ન કર્યા હતા. આ ઐતિહાસિક ગાથાને આજ સુધી લોકો હૈયામાં સંઘરીને રાખી છે અને મેળા રૂપે ઉજવે છે.માધવપુરનું મહત્વ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે પણ વિશેષ છે. મેળાની શરૂઆત રામનવમીના દિવસે મંડપારોપણ અને પોથીયાત્રાથી થાય છે. દસમ અને અગિયારસે ફૂલેંકા, બારસે વિવાહોત્સવ અને તેરસે કરુણ વિદાય સાથે મેળાની પૂર્ણાહુતિ થાય છે. ખાસ કરીને કડછ ગામ તરફથી આવતું રૂક્મણીનું મામેરું મેળાનું મુખ્ય આકર્ષણ બની રહે છે, જેમાં શણગારેલા હાથી, ઊંટ અને ઘોડા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળે છે. આ લોકમેળો હવે રાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ પામી રહ્યો છે. ગુજરાત ઉપરાંત અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન અને અન્ય રાજ્યોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા ભારતની એકતા અને વૈવિધ્યતાનું પ્રતિબિંબ જોવા મળે છે. આમ માધવપુરનો મેળો માત્ર ધાર્મિક મેળો નહીં પરંતુ સોરઠની સંસ્કૃતિ, પરંપરા અને એકતાનો જીવંત ઉત્સવ છે, દર વર્ષે લાખો લોકોના હૃદયમાં ભક્તિ અને આનંદની લાગણી પ્રગટાવે છે. ભજન, લોકગીતો, રાસ- ગરબાની રમઝટ જામે છેભાદર, ઓઝત અને મધુવંતી નદીઓના સંગમથી પવિત્ર બનેલી આ ધરા પર મેળા દરમિયાન ભજન, લોકગીતો, દુહા, રાસ-ગરબા અને લોકસાહિત્યની રમઝટ જામે છે. મહેર, રબારી, કોળી, આહીર સહિતના વિવિધ સમાજોના લોકો પરંપરાગત વેશભૂષામાં ભાગ લેતા સોરઠી સંસ્કૃતિનું જીવંત દ્રશ્ય સર્જાય છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સરકારી ફતવો : કે.વાય.સી.નથી તો બાટલો નથી, 10 હજાર ગ્રાહકોના ગેસના બુકિંગ ટલ્લે ચઢ્યા

પોરબંદર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથ ગેસના સિલિન્ડરની અછત જોવા મળી રહી છે તેવામાં હવે સરકાર દ્વારા નવો ફતવો જાહેર કરવામાં આવ્યો છે.સરકાર દ્વારા 5 દિવસ પૂર્વે કે.વાય.સી.નથી તેવા ગ્રાહકોને બાટલો નહિ મળે તેવી જાહેરાત કરવામાં આવતા પોરબંદર જિલ્લામાં કે.વાય.સી. વિહોણા 10 હજાર ગ્રાહકોના ગેસના સિલિન્ડરના બુકિંગ ટલ્લે ચડ્યા છે. જેને લઈને ગ્રાહકો હવે કે.વાય.સી.કરાવવા માટે એજન્સીની ઓફિસ ખાતે ધક્કા ખાઈ રહ્યા છે. સરકાર દ્વારા ગેસની અછતને ન નિવારી શકવાની નિષ્ફળતાનું કલંક ન લેવુ પડે તે માટે 5 દિવસ પૂર્વે ગ્રાહકો પાસેથી ફરજીયાત કે.વાય.સી.કરાવવા ફરજ પડાઈ રહી છે. અમેરિકા,ઇઝરાઇલ અને ઈરાન વચ્ચે છેલ્લા 25 દિવસથી ચાલી રહેલ યુદ્ધને લઈને હાલ સમગ્ર વિશ્વમાં ક્રૂડની તેમજ ગેસની અછત ઉભી થઇ છે.ઈરાન દ્વારા સમુદ્રી માર્ગ પર કન્ટેનરો તેમજ શીપના અવર જવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે જેથી હાલ ભારતમાં પણ આ યુદ્ધની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ભારતમાં યુ.એ.ઇ.સહિતના દેશમાંથી આવતો ગેસનો પુરવઠો ઠપ્પ થઈ ગયો છે તેમજ અમુક પુરવઠો ઈરાન દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ સમુદ્રી જલમાર્ગ પર અટવાયો છે જેથી ભારતમાં હાલ ઘટેલું તેમજ ઇન્ડસ્ટ્રીઝ ગેસની અછત જોવા મળી રહી છે. પોરબંદર જિલ્લામાં પણ છેલ્લા ઘણા દિવસોથી ગેસના સિલિન્ડરની અછત જોવા મળી રહી છે.જિલ્લામાં હાલ કોમર્શિયલ ગેસના સિલિન્ડરનું વિતરણ બંધ છે તો ઘરેલુ ગેસના સિલિન્ડર પણ સમયસર મળતા ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે તેવામાં જ સરકાર દ્વારા ગેસની અછત દૂર કરવાની બદલે નવા નવા નિયમો જાહેર કરવામાં આવી રહ્યા છે.જેથી હવે લોકોને સરકારનો વિકાસ હવે ટીકળમબાજી પર ઉતર્યા હોય તેવી ચર્ચા જાગી છે. સરકાર દ્વારા ગેસની અછત દૂર કરવાનો બદલે હવે ગેસના સિલિન્ડર મેળવતા ગ્રાહકોને 5 દિવસ પૂર્વે ફરજિયાત કે.વાય.સી.માંગવામાં આવી રહ્યા છે જેથી પોરબંદર જિલ્લામાં આવેલ અલગ અલગ 5 એજન્સીઓમાં કે.વાય.સી. વિહોણા 10 હજાર ગ્રાહકોના ગેસના સિલિન્ડરના બુકિંગ ટલ્લે ચડ્યા છે. સરકાર દ્વારા ગેસની અછત છે તેને ન નિવારી શકવાની નિષ્ફળતાનું કલંક ન લેવુ પડે તે માટે 5 દિવસ પૂર્વે ગ્રાહકો પાસેથી ફરજીયાત કે.વાય.સી.કરાવવા ફરજ પડાઈ હોવાની ચર્ચા જાગી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

હાશકારો:આખરે પોરબંદરના કીર્તિમંદિરનું બંધ શૌચાલય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું

પોરબંદરના રાષ્ટ્રીય સ્મારક એવા કીર્તિમંદિર ખાતે સોચાલય બ્લોકનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ સોચાલય તૈયાર થઈ ગયા બાદ તાળા લગાવી દેવામાં આવતા અહીં આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કર પ્રસારિત થતાની સાથે જ તંત્ર પ્રવાસીઓ માટે આ સોચાલય ખુલ્લા મુકવામાં આવ્યા હતા. પોરબંદર શહેરમાં અનેક પ્રવાસન સ્થળો આવેલ છે.આ પ્રવાસન સ્થળો પર દિવસ દરમ્યાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે.રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ કીર્તિમંદિર આવેલ છે.રાષ્ટ્રીય સ્મારક એવા કીર્તિમંદિર ખાતે દિવસ દરમ્યાન દેશ વિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે આ રાષ્ટ્રીય સ્મારકના પટાંગણમાં રહેલ જર્જરીત સોચાલય બ્લોક દૂર કરી નવું સોચાલય બ્લોક બનાવવામાં આવ્યા છે. આ સોચાલય બ્લોક તૈયાર થઈ ગયા બાદ કોઈ કારણોસર સોચાલય બ્લોકને તાળા લગાવી દેવામાં આવતા અહીં આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે જેથી પ્રવાસીઓ દ્વારા તેમની સમસ્યા રોષભેર વિઝીટ બુકમાં વ્યક્ત કરી રહ્યા હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કર પ્રસારીત થતાની સાથે જ તંત્ર જાગ્યું હતું અને દિવસોથી બંધ સોચાલય બ્લોકના તાળા ખોલી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

આગામી 31 માર્ચ સુધી વ્યાજમાફી યોજના લાગુ:પોરબંદર મનપા દ્વારા આસામી માટે વ્યાજમાફી યોજના અમલી કરાઈ

પોરબંદર મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા લાંબા સમયથી વેરાની ભરપાઈ ન કરનાર આસામીઓ માટે મનપા દ્વારા વેરાની રકમમાં લગાવવામાં આવેલ વ્યાજમાફી યોજના જાહેર કરવામાં આવી છે.આવા આસામીઓ માટે આગામી 31 માર્ચ સુધીમાં વેરાની ભરપાઈ કરે તો 40 અને 60 ટકા વેરામાં લાગેલ વ્યાજની માફી આપવામાં આવશે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વેરાની રકમની ઉઘરાણી માટે વિવિધ કાર્યવાહી તેમજ વિવિધ યોજના જાહેર કરવામાં આવી રહી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી વેરાની ભરપાઈ ન કરનાર આસામીઓ માટે વ્યાજમાફી યોજના જાહેર કરવામાં આવી છે.આ યોજના હેઠળ વેરાની રકમમાં ચડત થયેલ વ્યાજમાં મહાનગરપાલિકા દ્વારા રહેણાંક મિલકતોના વેરાની રકમમાં ચડત થયેલ વ્યાજમાં 60 ટકા અને કોમર્શિયલ મિલ્કતોના વેરામાં ચડત થયેલ વ્યાજમાં 40 ટકા વ્યાજમાફીની જાહેરાત કરવામાં આવી છે.આ યોજના મહાનગરપાલિકા આગામી 31 માર્ચ સુધી અમલી કરવામાં આવી છે. હજુ 35 હજાર આસામીઓના વેરાની રકમ બાકી છે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વેરાની રકમ ઉઘરાણી કરવામાં આવી રહી છે ત્યારે હજુ પણ મનપાને 35 હજાર જેટલા આસામીઓ પાસેથી વેરાની રકમ ઉઘરાવવાની બાકી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

સાથી હાથ બઢાના:પોરબંદરના મોઢવાડાના વતની એનઆરઆઈએ વતન પ્રેમ દાખવી ટ્રેક્ટર ભરી ઘઉંનું વિતરણ કર્યું

પોરબંદરના મોઢવાડા ગામે દાન અને સેવાભાવની પરંપરા જીવંત રાખતા એનઆરઆઈ લાખણશીભાઈ નાગાભાઈ મોઢવાડિયા દર વર્ષે પોતાના ખેતરમાં પાકતા વધારાના તમામ ઘઉં જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે અર્પણ કરે છે. જનની જણ તો ભક્ત જણ કાં દાતા કાં શૂર પંક્તિ મોઢવાડાની ધરતી પર સાબિત થાય છે, જ્યાં શૂરવીરતા સાથે દાતાની પરંપરા પણ જીવંત રાખી છે. મૂળ મોઢવાડાના વતની લાખણશીભાઈ વર્ષોથી યુકેના લેસ્ટરમાં વસવાટ કરે છે અને ત્યાં મહેર સમાજના પ્રમુખ તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. વતન પ્રત્યેનો લાગણીસભર સંબંધ જાળવી રાખતા તેઓ દર વર્ષે વાડીમાં ભાગીદારીથી ઘઉંનું વાવેતર કરે છે અને પોતાના ભાગમાં આવતા વધારાના ઘઉં ગરીબોને અર્પણ કરે છે. ચૈત્રી બીજના દિવસે તેમણે ટ્રેક્ટરભર ઘઉં લઈ મોઢવાડા ગામે ઉગમણી મઢી ખાતે, શિવ મંદિર પ્રાંગણમાં જરૂરિયાતમંદ પરિવારોને વિતરણ કર્યું હતું. આ પ્રસંગે લાભાર્થી પરિવારોમાં આનંદની લાગણી જોવા મળી હતી. લાખણશીભાઈએ જણાવ્યું હતું કે આવનાર રામ નવમીના દિવસે આદિત્યાણા ગામે વિતરણ કરવામાં આવશે. લાખણશી ભાઈએ ગામમાં ઉગમણી મઢી, આથમણી મઢી અને હનુમાનજી મંદિર ખાતે લાખોના ખર્ચે ડોમ નિર્માણ કરાવ્યા છે. તસવીર- ધીરૂભાઇ નિમાવત

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી:બોખીરા આવાસ પાસે પોલીસે શંકાના આધારે તલાસી લેતા છરી સાથે શખ્સ ઝડપાયો

પોરબંદરના બોખીરા આવાસ કોલોની પાસેથી પોલીસે શંકાના આધારે શખ્સની તલાસી લેતા શખ્સ પાસેથી છરી મળી આવતા પોલીસે છરી કબ્જે કરી, આરોપીને ઝડપી લઇ હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધ્યો છે. પોરબંદરના બોખીરા ચોરાની બાજુમાં ઠેબાના ફળિયા વિસ્તારમાં રહેતો નાગા દેવા વાજા નામનો શખ્સ બોખીરા આવાસ કોલોની પાસે રોડ પર ઉભો હતો ત્યારે પોલીસને જોઈને આ શખ્સ આડો અવળો થતા પોલીસે શંકાના આધારે શખ્સની તલાસી લેતા આ શખ્સના કબ્જા માંથી છરી મળી આવતા પોલીસે શખ્સને ઝડપી લઇ છરી કબ્જે કરી, હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધી ઉદ્યોગનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

બેઠક:રામનવમી, હનુમાન જયંતિ અને આંબેડકર જયંતિ પૂર્વે શાંતિ સમિતિ બેઠક યોજાઈ

આગામી સમયમાં ઉજવાનાર રામનવમી, હનુમાન જયંતી તથા બાબા સાહેબ આંબેડકર જયંતિના તહેવારોને ધ્યાનમાં રાખીને પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં ડીવાયએસપી ઋતુ રાબા સહિત પોલીસ અધિકારીઓ તથા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન યોજાનાર કાર્યક્રમો, રેલી તથા યાત્રાઓના રૂટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા માટે પોલીસ બંદોબસ્ત કેવી રીતે ગોઠવાશે તેની માહિતી આપવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષકે આયોજકોને શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો. જાહેર માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે, કાયદો અને વ્યવસ્થા બગડે નહીં તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.તમામ તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ શકે અને સામાજિક સૌહાર્દ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા બેઠક મળી હતી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

યમદૂત બની દોડતા વાહનોથી જનતામાં ફફડાટ‎:રાણપુરમાં નંબર પ્લેટ વગરના ખનીજ ડમ્પરો સગીરોને હવાલે

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરીનો કાળો કારોબાર હવે સામાન્ય જનતા માટે જીવનું જોખમ બની રહ્યો છે. અત્યાર સુધી માત્ર ખનીજની ચોરીની ફરિયાદો ઉઠતી હતી, પરંતુ હવે ખનીજ માફિયાઓ કાયદાને ખિસ્સામાં લઈને ફરતા હોય તેમ સગીર વયના બાળકો પાસે ભારે વાહનો ચલાવડાવી રહ્યા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, તાલુકાના વિવિધ માર્ગો પર રેતી અને પથ્થર ભરેલા ડમ્પરો બેફામ ગતિએ દોડી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, આ વાહનોના સ્ટિયરિંગ પર અનુભવી ડ્રાઈવરને બદલે સગીર વયના કિશોરો જોવા મળે છે. ટ્રાફિકના નિયમો મુજબ સગીર વ્યક્તિ વાહન ચલાવી શકતી નથી, છતાં ખનીજ માફિયાઓ સસ્તા મજૂર તરીકે બાળકોનો ઉપયોગ કરી રહ્યા છે, જે ગંભીર ગુનો છે. આટલું ઓછું હોય તેમ, રાણપુરના રસ્તાઓ પર અનેક ડમ્પરો અને ટ્રેક્ટરો નંબર પ્લેટ વગર જ દોડી રહ્યા છે. જો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો વાહનની ઓળખ કરવી પણ મુશ્કેલ બની જાય તેમ છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

ઝાલાવાડની આરોગ્ય ક્ષેત્રે અનોખી સિદ્ધિ:સવા આયુષ હોસ્પિ.માં રોબોટિક સર્જરી શરૂ

સુરેન્દ્રનગર શહેરની જાણીતી સવા આયુષ હોસ્પિટલમાં અત્યાર સુધી માત્ર મેટ્રો સિટીમાં ઉપલબ્ધ એવી રોબોટિક સર્જરી અને એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી જેવી અત્યાધુનિક સારવાર પદ્ધતિઓ ઉપલબ્ધ બની છે. આ નવા વિભાગોનું લોકાર્પણ નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્ય તથા જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલ દ્વારા એક ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પ અને સામાજિક-રાજકીય અગ્રણીઓના સન્માન કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હોસ્પિટલની આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરમાં રોબોટિક અને આરઆઇઆરએસ લેસર સુવિધાઓ આવવાથી સ્થાનિક ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ફાયદો થશે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હોસ્પિટલના આધુનિક અભિગમને પ્રોત્સાહિત કર્યો હતો. આ કેમ્પમાં 600થી વધુ દર્દીઓએ નોંધણી કરાવી નિઃશુલ્ક તબીબી તપાસ, લેબ ટેસ્ટ અને દવાઓનો લાભ લીધો હતો. ટ્રસ્ટી ડી.વી. શાહના આર્થિક સહયોગથી પ્રથમ 50 જરૂરિયાતમંદ દર્દીઓના મોતિયાના ઓપરેશન મફત કરાશે. આ અંગે ડૉ. સંકેત મકવાણાએ જણાવ્યુ કે હોસ્પીટલમાં વસાવાયેલી આધુનિક અને અસરકારક ટેકનોલોજી છે. રોબોટિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ: ગોઠણના ઓપરેશનમાં 10%ચોકસાઈ અને દર્દીની ઝડપી રિકવરી માટે અત્યાધુનિક રોબોટિક સિસ્ટમ.RIRS લેસર સ્ટોન સર્જરી: પથરીની સારવાર હવે કોઈપણ પ્રકારની કાપકૂપ વગર, દૂરબીન અને લેસર કિરણો દ્વારા અત્યંત સુરક્ષિત રીતે શક્ય બનશે. મણકા અને ગાદીની તકલીફો માટે હવે મોટા ચીરાની જરૂર નથી.અમારો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીઓને ગંભીર બીમારીઓ માટે દર્દીઓને અમદાવાદ કે રાજકોટ સુધી દોડવું ન પડે તેવી વ્યવસ્થા કરવાનો છે તેમ આ તકે જણાવવામાં આવ્યુ હતુ.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

ઇંધણની અછતની અફવા ઉડી:પેટ્રોલ, ડીઝલની અછતની અફવા, પંપ પર લાંબી લાઇનો‎

છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર ઇંધણની અછત અંગે ફેલાઈ રહેલી અફવાઓને પગલે સુરેન્દ્રનગર પેટ્રોલ, ડીઝલ સહિત પંપો પર સમી સાંજે વાહનોન કતારો લાગી જવા પામી હતી. જ્યારે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો નિયમિત રીતે મળી રહ્યો છે, તેથી નાગરિકોએ અફવાઓમાં ગભરાટમાં આવીને બિનજરૂરી ખરીદી ન કરવા જણાવાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લો ખેતીવાડી અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનું કેન્દ્ર હોવાથી અહીં ઇંધણની માંગ હંમેશા ઊંચી રહે છે. હાલમાં ખેતીની સિઝન અને પિયતની જરૂરિયાતને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલનો વપરાશ વધ્યો છે. વળી, અમદાવાદ-રાજકોટ હાઈવે પરના ટ્રાફિકને કારણે પણ ઇંધણની મોટી માંગ રહે છે. જેમાં દરરોજ અંદાજે 200થી 300 કીલો લીટર પેટ્રોલ અને 500થી 700 કિલોલીટર ડીઝલ ઇંધણની જરૂરીયાત માંગ મુજબ વધઘટ રહે છે. આ સ્થિતિમાં અછતની અફવાઓ ફેલાતા લોકો પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા હતા. જે બાબતે તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ તંગી ઊભી થવાની શક્યતા ન હોવાનું જણાવ્યું હતું. પૂરતો પુરવઠો છે, ખોટી અફવાથી દૂર રહેવું‎સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ સહિત ફ્યુઅલનો તમામ ડેપો પરથી ઇંધણનો જથ્થો સમયસર પંપો સુધી પહોંચી રહ્યો છે. જિલ્લા પુરવઠા વિભાગ અને વહીવટી તંત્રએ નાગરિકોને સૂચના છે કે ગભરાટમાં આવીને વધુ ખરીદી કરવાથી બચવું. જો અફવા ફેલાવશે તો તેમની સામે પણ કાયદેસર કાર્યવાહી કરાશે. - એ.જી. ગજ્જર, જિલ્લા પુરવઠા અધિકારી

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:તાલુકા અને શહેરના વિવિધ મોરચાની જાહેરાત કરાશે

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની શક્યતાને લઈને શહેર તથા તાલુકાના વિવિધ મોરચાના સંગઠનની એક બે દિવસમાં જાહેરાત કરવામાં આવે તે માટેની કવાયત જોવા મળી રહી છે. જિલ્લા ભાજપ સંગઠનની કારોબારીની પણ જાહેરાત કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક હોવા ટૂંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે. ટર્મ પૂરી થતી હોવાથી રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે. ત્યારે રાજ્યના મોટા ભાગના જિલ્લા અને મહાનગર પાલિકા પ્રમુખ અને સંગઠનની જાહેરાત પ્રદેશ ભાજપ દ્વારા કરી નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દીકભાઈ ટમાલીયા કામગીરી કરી રહ્યા છે. ઉપર વિવિધ જ્ઞાતિઓને સાથે રાખીને દરેકને ન્યાય મળે તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લા શહેર અને તાલુકા ભાજપ વિવિધ મોરચાના પ્રમુખ, માહામંત્રી, મંત્રી, કોસાઘ્યક્ષ, કાર્યલય મંત્રી સહિત હોદેદારો અને વિવિધમોરચાના હોદેદારોની એક સાથે જાહેરાત કરવામાં આવે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી હોવાની શક્યતા જોવા મળી રહી છે. અને ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. જિલ્લા ભાજપના નવા સંગઠનમાં જ્ઞાતિ, જાતિ સાથે કામગીરી અને વિધાનસભા વિસ્તાર મુજબ નિમણૂંક કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં લઈ ફરી વિજય મળે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. એક બે દિવસમાં જાહેરાત કરવામાં આવશે. આગેવાનો દ્વારા પોતાના કાર્યકરોની કામગીરીને ધ્યાનમાં લઈ નિમણૂંક કરવામાં આવે તે માટે લોબિંગ કરવામાં આવી રહ્યું છે. નવા હોદેદારો માટે વિસ્તાર અને જ્ઞાતિ સમીકરણો ઘ્યાનમાં લેવાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં લઈ વિવિધ વિસ્તારોમાં પ્રતિનિધિ મળી. જ્ઞાતિ, જાતિના સમીકરણને પણ ધ્યાનમાં લઈ જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા, ટીમ દ્વારા અભ્યાસ કરીને પ્રદેશમાંથી માર્ગદર્શન મેળવીને જાહેરત કરાશે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

PGVCL એક્શન મોડમાં:4.76 લાખની બાકી રકમના 97 ગ્રાહકના સ્થળ પર કનેકશન કટ

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા વીજ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પૂરો પાડવાની સાથે સાથે બાકી લેણાંની વસૂલાત માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પીજીવીસીએલ નિગમિત કચેરી, રાજકોટના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર વર્તુળની તમામ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા બાકી વીજબીલ વસૂલાતની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર વર્તુળ કચેરી હેઠળ તા.23-3-2026ને સોમવારે કુલ 188 ટીમો દ્વારા ડીસ કનેક્શન તેમજ વસૂલાતની કામગીરી કરવામાં આવી હતી. જેમાં વીજ બિલ ન ભરનારા કુલ 97 ગ્રાહકોના વીજ જોડાણો સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા. જેમની કુલ બાકી રકમ રૂ. 4.76 લાખ જેટલી થવા જાય છે. જાગૃત ગ્રાહકોના સહકારથી કુલ 2421 ગ્રાહકો પાસેથી રૂ.69.21 લાખની વસૂલાત કરવામાં આવી છે. પીજીવીસીએલ સુરેન્દ્રનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર એન.એન. અમીને જણાવ્યું કે, જે ગ્રાહકો બિલ ભરપાઈ નહીં કરે તેમના વીજ જોડાણો કોઈ પણ શેહ-શરમ વગર કાપી નાખવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લાં સાડા ચાર મહિનાથી વીજ બિલ વસૂલાતની કાર્યવાહી ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

લુપ્ત થતી ચકલીને બચાવવાનો પ્રયાસ:સુરેન્દ્રનગરના દરેક તાલુકામાં ‘સ્પેરો વિલેજ’ બનશે, ચકલીઓ માટે આશ્રયસ્થાન બનાવાશે

આજના આધુનિક યુગ અને સિમેન્ટ-કોંક્રિટના જંગલો વચ્ચે લુપ્ત થઈ રહેલી ચકલીઓને બચાવવા સુરેન્દ્રનગર જિલ્લામાં એક પ્રશંસનીય અને અનોખું અભિયાન સ્પેરો વિલેજ (ચકલી ગામ) શરૂ કરાયુ છે. પર્યાવરણના જતન અને ચકલીઓના સંરક્ષણ માટે શરૂ કરાયેલા આ અભિયાન હેઠળ જિલ્લાના દરેક તાલુકામાં એક ગામને ચકલી ગામ તરીકે વિકસાવવાનું લક્ષ્ય રખાયુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધી પાંચ ગામોમાં આ અભિયાનને અભૂતપૂર્વ સફળતા મળી છે. વધતા શહેરીકરણને કારણે ચકલીઓને માળા બાંધવા માટે કુદરતી જગ્યાઓ મળતી નથી, જેના કારણે તેમની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને રોકવા માટે વઢવાણ તાલુકાના ખારવા ગામના વતની, ખેડૂત પુત્ર અને શિક્ષક મુકેશભાઈ બદ્રેસિયા દ્વારા છેલ્લા 18 વર્ષથી ચકલી બચાવો મિશન ચલાવાઈ રહ્યું છે. મુકેશભાઈના માર્ગદર્શન હેઠળ હજારો લાકડાના ચકલીઘર તૈયાર કરી તેનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ચકલીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન પૂરું પાડવાનો છે. મુકેશભાઈએ આ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો આપણે ચકલીઓને બચાવવા આજે ગંભીરતાથી પ્રયાસ નહીં કરીએ, તો આવનારી પેઢી ચકલીઓને માત્ર પુસ્તકોના ચિત્રોમાં જ જોઈ શકશે. આ અભિયાન દ્વારા લોકભાગીદારી વધારીને પર્યાવરણનું સંતુલન જાળવવાનો સકારાત્મક સંદેશ આપવામાં આવી રહ્યો છે. “સ્પેરો વિલેજ” એટલે એવું ગામ, જ્યાં 80% ઘરોમાં ચકલીના માળા હશે. જ્યાં ચકલીઓને સુરક્ષિત આશ્રય અને ખોરાક મળે. જ્યાં લોકોમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ વધે.તેવો આશય રખાયો છે. સ્પેરો શાળા પણ બનશે: 4 ગામોમાં શરૂ કરવામાં આવેલું અમલીકરણ આ અભિયાન અંતર્ગત શાળાઓમાં પણ ચકલીઘર લગાવવામાં આવી રહ્યા છે.દરેક શાળામાં 15થી 20 માળા મુકવાની યોજના છે, જેથી બાળકોમાં પ્રકૃતિપ્રેમ અને સંવેદના વિકસે.હાલમાં કેટલાક ગામોમાં સ્પેરો વિલેજની શરૂઆત થઈ ગઈ છે. રાઈ ગામ (વઢવાણ),નવા સુદામડા (સાયલા),ચંદ્રેલિયા (થાન), રામપરડા (મૂળી),બીજા તાલુકાઓમાં પણ આ અભિયાન ઝડપથી વિસ્તરી રહ્યું છે. બાળકોને તાલીમ અને જોડાણવેકેશન દરમિયાન વિદ્યાર્થીઓને ચકલીઘર બનાવવાની તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ પ્રકૃતિ સાથે જોડાય અને આ અભિયાનમાં સક્રિય ભાગ ભજવે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

હવે જાહેરનામાનો અમલ:વેરાવળ બંદર પર રિક્ષામાં તાડપત્રી ઢાંકવી ફરજિયાત

વેરાવળમાં તાજેતરમાં બંદરમાં માછલી ભરીને અવર જવર કરતા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે માછીમારોને જિલ્લા કલેક્ટરના જાહેરનામાં અંગે સમજ આપવા માટે સિટી પોલીસ ખાતે પીઆઇ દ્વારા બેઠક યોજવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં માછીમારો ઉપસ્થિત રહ્યા હતા.આગેવાનોએ જણાવ્યું હતું કે આ રસ્તો મોટો ભાગે માછીમારી સાથે સંકળાયેલા વાહનો માટે છે પરંતુ હાલ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. જેને પગલે મોટે ભાગે વાહનોની અવર જવર અહીંથી થઈ રહી છે.અંતે રિક્ષામાં જે મચ્છી ભરીને જતા હોય તેમને બેસન રાખવા અને પ્લાસ્ટિક ઢાંકી રાખવા માટે તંત્ર, પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તાજેતરમાં અકસ્માતોમાં વધારો થતા માછલીના છકડા પર અંકુશ લાવવા રજૂઆતો કરવામાં આવી હતી.ત્યારે માછીમારોના ધંધા રોજગાર પણ ચાલતા રહે અને જાહેરનામાનું પણ અમલ થાય તે માટે સિટી પોલીસ સ્ટેશન ખાતે સિટી પીઆઈ અને એસઓજી પીઆઈની આગેવાનીમાં બેઠક યોજી તેમને છકડા રિક્ષામાં તાલપત્રી, પ્લાસ્ટિક સહિતની વસ્તુઓ રાખવા જણાવવામાં આવ્યું હતું. ઓવરબ્રિજનું કામ ધીમીગતિએ ચાલે છેવેરાવળ બંદર પર દરરોજ મોટી સંખ્યામાં માછીમારીના ધંધા સાથે સંકળાયેલા રિક્ષાચાલકો, બોલેરો ચાલકો અને અન્ય વાહનો પસાર થાય છે.જેના પગલે ઘણી વખત અકસ્માતો પણ સર્જાય છે.અકસ્માતો નિવારવા જિલ્લા કલેક્ટર દ્વારા થોડાક સમય અગાઉ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.પરંતુ છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજનું કામ ગોકળગતિએ ચાલી રહ્યું હોય જેના પગલે સોમનાથ સુધી મોટે ભાગે અવર જવર કરવા માટે તમામ વાહનોને અહીંથી પસાર થયું પડે છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

ભાસ્કર એક્સક્લુસિવ‎:પાલિકા રૂ. 1000 કરોડના બોન્ડ બહાર પાડશે સરકાર સાથે બેઠક બાદ પ્રોજેક્ટો નક્કી કરાશે

શહેરના વિકાસ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચને પહોંચી વળવા પાલિકા ₹1000 કરોડના બોન્ડ જારી કરશે. રાજ્ય સરકારે માત્ર ગ્રાન્ટ પર નિર્ભર રહેવાને બદલે આત્મનિર્ભર બનવાની સૂચના આપી છે. આગામી અઠવાડિયામાં રાજ્યના પ્રિન્સિપલ સેક્રેટરી સાથે બેઠક યોજાશે, જેમાં બોન્ડ અંગે ચર્ચા કરી આગળની રૂપરેખા નક્કી કરાશે. પાલિકા દર વર્ષે ₹3500 કરોડના વિકાસ કામો કરે છે, જેમાંથી મોટા ભાગના પ્રોજેક્ટ ગ્રાન્ટ આધારિત છે. સરકાર દર વર્ષે ₹3000 કરોડની ગ્રાન્ટ ફાળવે છે. મ્યુનિસિપલ બોન્ડ એટલે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ દ્વારા જારી કરતા ઋણપત્રો, જેના માધ્યમથી રોકાણકારો પાસેથી નાણાં એકત્રિત કરી રોડ, ફ્લાયઓવર, પાણી પુરવઠો, ડ્રેનેજ અને ગટર વ્યવસ્થા જેવા પ્રોજેક્ટોમાં ખર્ચવામાં આવે છે. કયા પ્રોજેક્ટો માટે બોન્ડ બહાર પાડવા તે અંગે હાલ આંતરિક સ્તરે તૈયારી ચાલી રહી છે. આ પહેલાં ક્રેડિટ રેટિંગ, વ્યાજદર નક્કી કરવો તેમજ વિવિધ નિયમનકારી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી રહેશે. બોન્ડ માટે આગળની પ્રક્રિયા મ્યુનિસિપલ બોન્ડ શું છે? પાલિકાનાં વિકાસ કાર્યો અને ગ્રાન્ટ

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

ઈરાન-ઈઝરાયલ યુદ્ધે સિરામિક ઉદ્યોગની કમર ભાંગી:મોરબીમાં 600 ફેક્ટરીને તાળાં વાગ્યાં, 4 લાખ શ્રમિકોએ વતનની વાટ પકડી

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની જ્વાળાઓએ વિશ્વના બીજા સૌથી મોટા સિરામિક ક્લસ્ટર મોરબીને લપેટમાં લીધું છે. પેટ્રોલિયમ ઉત્પાદનોની સપ્લાય ચેઈન ખોરવાતા મોરબીના ઉદ્યોગની જીવાદોરી સમાન પ્રોપેન અને નેચરલ ગેસનો પુરવઠો સાવ તળિયે બેસી ગયો છે. પરિણામે, ધમધમતા કારખાનાઓ હવે નિર્જીવ શરીર જેવા ભાસી રહ્યા છે. અત્યાર સુધીમાં 600થી વધુ ફેક્ટરીઓ ગેસના અભાવે બંધ થઈ ગઈ છે, જેના કારણે લાખો શ્રમિકો બેરોજગાર બન્યા છે. વધતા ખર્ચ સામે સામૂહિક વેકેશનનો નિર્ણય, સ્થિતિ સામાન્ય થયા બાદ નવા ભાવ​ગેસ સપ્લાય ક્યારે રાબેતા મુજબ થશે તેની કોઈ ગેરંટી નથી. જ્યારે સ્થિતિ સામાન્ય થશે ત્યારે ગેસના નવા ભાવ અને ઉત્પાદન ખર્ચના આધારે નવા ભાવ જાહેર કરી એકસૂત્રતા જાળવવાનો અમારો પ્રયાસ રહેશે. > મનોજ એરવાડિયા, પ્રમુખ, સિરામિક એસોસિએશન રેલવે સ્ટેશને ભીડ, લેબર ક્વાર્ટર્સ ખાલી થયા​ફેક્ટરીઓ બંધ થતા ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશાથી આવેલા 4 લાખથી વધુ શ્રમિકોની હાલત દયનીય બની છે. છેલ્લા બે અઠવાડિયાથી મોરબી, વાંકાનેર અને રાજકોટ રેલવે સ્ટેશનો પર વતન જવા માંગતા શ્રમિકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. વધતા ખર્ચને પહોંચી ન વળતા શ્રમિકો વતન જવા મજબૂર બન્યા છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 am

નાણાકીય લેતીદેતીમાં ફાયરિંગ:ગાંધીનગરના હાર્દ સમાન ગ-2 સર્કલ પાસે જાહેરમાં ફાયરિંગ,નાણાકીય લેતીદેતીમાં પત્રકાર પક્ષે બે રાઉન્ડ ગોળીબાર કરતા એક ગંભીર

પાટનગર ગાંધીનગરમાં વ્યસ્ત ગણાતા ગ-2 સર્કલ પાસે જાહેરમાં બે રાઉન્ડ ફાયરિંગ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ આ ઘટના પાછળ અંગત અદાવત અને ખાસ કરીને નાણાકીય લેતીદેતી કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે. આ હિંસક અથડામણમાં એક વ્યક્તિને પેટના ભાગે ગોળી વાગતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સમગ્ર વિવાદ પૈસાની ઉઘરાણીને લઈને શરૂ થયો હતો. આ ઘટનામાં એક પત્રકારને ઈજાગ્રસ્ત વ્યક્તિ પાસેથી અમુક રકમ લેવાની નીકળતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ નાણાં વસૂલવા માટે પત્રકાર પોતાની સાથે ઉનાવા ગામના એક શખસને લઈને ગ-2 સર્કલ પાસે પહોંચ્યા હતા. જ્યાં બંને પક્ષો વચ્ચે સામસામે શાબ્દિક બોલાચાલી થઈ હતી અને મામલો ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાટમાં આવીને પત્રકાર પક્ષ તરફથી રિવોલ્વર કે પિસ્તોલ જેવા હથિયાર વડે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી એક ગોળી સામે પક્ષની વ્યક્તિના પેટમાં વાગી હતી, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા , ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુના વાળી જગ્યાને કોર્ડન કરી પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી છે. ત્યારે પાટનગરના જાહેર માર્ગ પર દિવસે-દહાડે થયેલા આ ગોળીબારથી સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં પોલીસ દ્વારા સંડોવાયેલા પત્રકાર અને ઈજાગ્રસ્ત સહિતના તમામ શખસોની સત્તાવાર ઓળખ પ્રસ્થાપિત કરવાની તજવીજ ચાલી રહી છે. આ અંગે સેકટર 7 પીઆઇ બી બી ગોયલે કહ્યું કે, કોઈ પત્રકારને પૈસાની લેતીદેતીમાં ફાયરિંગ થયું છે. પત્રકાર સાથે ઉનાવાનો એક રબારી શખસ પણ હતો. પત્રકાર પક્ષ તરફથી ફાયરિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે.જેમાં એક યુવકને ગોળી વાગી છે. જેની વધુ તપાસ ચાલી રહી છે. ઉનાવા ગામનો જીતુ રાઠોડ નામનો પત્રકાર હિતેશ રબારીને લઈને ગાંધીનગર આવ્યો હતો. જેને પ્રદીપ જાડેજા નામની વ્યક્તિ પાસે કોઈ પ્લોટની 20 લાખની ઉઘરાણી નીકળતી હતી. જેની માથાકૂટમાં હિતેશ રબારીએ ફાયરિંગ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:40 am

સ્થાનિક સ્વરાજ ચૂંટણીની મતદાર યાદી જાહેર, 4.18 કરોડ મતદાર નોંધાયા:15 મનપા, 84 ન.પા., 34 જિલ્લા ને 260 તા.પંચાયત ચૂંટણીની તૈયારી શરૂ, 27 માર્ચ સુધી સુધારા અરજી મોકલી શકશો

રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ પ્રક્રિયા આગળ વધી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરી દીધી છે, જેના પગલે ચૂંટણીની તૈયારીને વેગ મળ્યો છે. રાજ્યના વિવિધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાર યાદીઓ જાહેર કરવામાં આવી છે. તેમાં રાજ્યની 15 મહાનગરપાલિકા (મનપા), 84 નગરપાલિકા, 11 નગરપાલિકાઓની 13 બેઠક (પેટા ચૂંટણી), 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની પ્રાથમિક મતદાર યાદીનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો પર કુલ 4,18,87,818 મતદારો નોંધાયા છે. જેમાં 2,16,15,633 પુરૂષ મતદારો છે. જ્યારે 2,02,71,220 મહિલા મતદાર નોંધાઈ છે. આ ઉપરાંત 965 અન્ય મતદારો નોંધાયા છે. 27 માર્ચ સુધી સુધારા અરજી મોકલી શકશોઆ પ્રાથમિક યાદી જાહેર થતા હવે મતદારો માટે પોતાના નામ, સરનામા સહિતની વિગતો ચકાસવાની તક મળશે. જો કોઈ ભૂલ અથવા સુધારો કરવાની જરૂર હોય તો નક્કી સમયમર્યાદામાં (27 માર્ચ સુધી) અરજી કરી શકાશે. ચૂંટણી આયોગ દ્વારા આ પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. ચૂંટણીને લઈ રાજકીય પક્ષોની તૈયારી શરૂઆવનારા દિવસોમાં અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની શક્યતા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોએ પણ તૈયારી શરૂ કરી દીધી છે, જેના કારણે રાજ્યમાં રાજકીય ગરમાવો વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. વડોદરા મનપાની મતદારયાદી જાહેર, 12 લાખ મતદારો નોંધાયો; જાણો પોતાનું નામ કેવી રીતે ચેક કરશો?વડોદરા મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓના ભાગરૂપે શહેરના તમામ 19 વોર્ડની વિભાગવાર મુસદ્દારૂપ મતદારયાદીઓ તા. 23 માર્ચ 2026ના રોજ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી હતી. પાલિકા તંત્ર દ્વારા આ યાદીઓ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતેની ઇલેક્શન શાખા, તમામ વહીવટી વોર્ડ કચેરીઓ, કલેક્ટર કચેરી તેમજ મ્યુનિસિપલ સેક્રેટરી શાખા જેવા વિવિધ જાહેર સ્થળોએ નાગરિકોના અવલોકન માટે મૂકવામાં આવી છે. વધુ માહિતી જોવા ક્લિક કરો AMC ઓફિસ ખાતે મતદાર યાદીમાં પોતાનું નામ તપાસી શકશેરાજ્ય ચૂંટણી પંચ દ્વારા 23 માર્ચના રોજ નવી મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. અમદાવાદમાં પણ નવી મતદાર યાદી જાહેર કરવામાં આવી ત્યારે નાગરિકો મતદાર યાદીમાં પોતાનું નામ જોઈ શકે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ તથા અલગ-અલગ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસો ખાતે મતદાર યાદીમાં પોતાનું નામ તપાસી શકશે. વધુ માહિતી જોવા ક્લિક કરો રાજકોટ મનપાની પ્રાથમિક મતદારયાદી જાહેર, શહેરના 1 લાખથી વધુ મતદારો ઘટ્યારાજકોટ મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી 2026 માટેની વહીવટી પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો હતો. જેમાં શહેરના તમામ 18 વોર્ડની પ્રાથમિક મતદાર યાદી 23 માર્ચના રોજ સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી આયોગના આદેશ અનુસાર હાથ ધરવામાં આવેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) બાદ આ નવા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. વધુ માહિતી જોવા ક્લિક કરો પાટણ નગરપાલિકાની પ્રાથમિક મતદારયાદી જાહેર, 1,08,999 મતદારો નોંધાયાપાટણ નગરપાલિકાની વર્ષ 2026ની ચૂંટણી પૂર્વેની પ્રાથમિક મતદારયાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદી મુજબ, પાટણ શહેરના કુલ 11 વોર્ડમાં 1,08,999 મતદારો નોંધાયા છે. આ આંકડા 20 માર્ચ, 2026ના રોજ જનરેટ થયેલા રિપોર્ટના આધારે પ્રસિદ્ધ કરાયા છે. વધુ માહિતા જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:05 am

‘તારા નાટક વધી ગયા છે, આજે તો પતાવી જ નાંખું’:સુરતમાં સોસાયટીના મેઇનટેન્સ મુદ્દે ડોક્ટર સહિત ત્રણે હુમલો કર્યો, યુવાનના ગળા પર હથોડો ઝીંક્યો તો જોનારા ચીસ પાડી ગયા

સુરતમાં જહાંગીરપુરાની જાનકી રેસીડેન્સીમાં ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન અંગે ચર્ચા કરતી વખતે સોસાયટીના મેઇનટેઇન્સ અંગે ડોક્ટર સહિત ત્રણે બોલાચાલી કર્યા બાદ યુવાન પર હથોડાથી હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. જેનો લાઇવ વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયો ઉતરનાર અને અન્ય બાળકો સહિતના લોકો આ હુમલો જોઈને રીતસર ચીસ પાડી ગયા હતા. આ મામલે ચિરાગ કાંતીલાલ કોસંબિયા (રહે. જાનકી રેસીડેન્સી, જહાંગીરપુરા) એ જહાંગીરપુરા પોલીસ મથકે ડોક્ટર સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે. મીટિંગ અંગે વાંધો ઉઠાવી બોલાચાલી શરૂ કરી હતીપોલીસ ફરિયાદ મુજબ રવિવારે રાત્રે લગભગ સાડા 11 વાગ્યે ચિરાગ કોસંબિયા સોસાયટીના બી–5 અને બી–6 બિલ્ડિંગ સામે આવેલા ગાર્ડન પાસે મિત્રો સાથે ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન અંગે ચર્ચા કરી રહ્યા હતા. તે દરમિયાન સોસાયટીમાં રહેતા ભરત સુરતી ત્યાં આવી પહોંચ્યા અને મીટિંગ અંગે વાંધો ઉઠાવી બોલાચાલી શરૂ કરી હતી. ત્યારબાદ તેઓ સોસાયટીમાં જ રહેતા હિરેન બરોડીયા અનેડો. વિપુલ બરોડીયાને બોલાવી નીચે લાવ્યા હતા. સોસાયટીના અન્ય રહેવાસીઓ વચ્ચે પડી બંને પક્ષોને છુટા પાડ્યા વાતચીત દરમિયાન ભરત સુરતી સેન્ટીંગ કામમાં ઉપયોગમાં લેવાતો હથોડો લઈને આવ્યા હતા અને ચિરાગના ગળાના ભાગે હુમલો કર્યો હતો. સાથે ગાળો ભાંડી ‘તારા નાટક વધી ગયા છે, આજે તો તને પતાવી જ નાંખું’ કહી ધમકી આપી હતી. ત્યારબાદ હિરેન બરોડીયા અને ડો. વિપુલ બરોડિયાએ પણ ઝપાઝપી કરી હતી. સોસાયટીના અન્ય રહેવાસીઓ વચ્ચે પડી બંને પક્ષોને છુટા પાડ્યા હતા. બનાવ બાદ ત્રણેય આરોપી સ્થળ પરથી ભાગી છૂટ્યા હોવાનું જાણવા મળ્યુંભરત સુરતી હથોડો લઈને આવીને ચિરાગના ગળાના ભાગે મારી દીધો હતો. આ સમગ્ર ઘટના ત્યાં હાજર રહેલા સ્થાનિક દ્વારા વીડિયો બનાવવામાં આવી રહેલો હતો. વીડિયોમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી અને નજરે જોનારા બાળકો સહિતના તમામ લોકો જીવલેણ હુમલો જોઈને ચીસ પાડી ગયા હતા. આ ઘટનાને લઈ ચિરાગ કોસંબિયાએ જહાંગીરપુરા પોલીસ મથકે ભરત સુરતી, હિરેન બરોડિયા અને ડોક્ટર વિપુલ બરોડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાવ બાદ ત્રણેય આરોપી સ્થળ પરથી ભાગી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:05 am

મોતના મુખમાંથી 51 મુસાફરોને ઉગાર્યા:સુરતના કાપોદ્રામાં સળગતી ST બસ, ડ્રાઈવરની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી, નજીકમાં આવેલા પેટ્રોલપંપ પર ભારે ભીડથી ફાયર ગાડીઓને પહોંચવામાં મુશ્કેલી થઈ

સુરત શહેરના વરાછા-કાપોદ્રા વિસ્તારમાં આજે મેઈન રોડ પર ત્યારે અફરાતફરી મચી ગઈ જ્યારે 51 મુસાફરોથી ભરેલી એક એસટી બસ અચાનક ચાલતી ગાડીએ સળગી ઉઠી હતી. કાપોદ્રાના જલારામ ફર્નિચર પાસે બનેલી આ ઘટનામાં ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આગ એટલી વિકરાળ હતી કે ગણતરીની મિનિટોમાં જ આખી બસ લોખંડના હાડપિંજરમાં ફેરવાઈ ગઈ હતી. ડ્રાઈવરે ધુમાડો જોયો ને બૂમ પાડી ‘બધા નીચે ઉતરી જાવ’સુરતથી તરસાડી જઈ રહેલી આ બસ જ્યારે કાપોદ્રા મેઈન રોડ પર પહોંચી ત્યારે ડ્રાઈવર સાઈડમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. ડ્રાઈવરે સમય વેડફ્યા વગર બસ રસ્તાની વચ્ચે જ ઊભી રાખી દીધી હતી. અંદર સવાર 51 મુસાફરો કંઈ સમજે તે પહેલા ડ્રાઈવરે તમામને તાત્કાલિક નીચે ઉતરી જવા જણાવ્યું હતું. મુસાફરો નીચે ઉતર્યાના થોડી જ સેકન્ડોમાં આગે આખી બસને ઝપેટમાં લઈ લીધી હતી. પેટ્રોલ પંપ પાસે જ આગ લાગતા શ્વાસ અધ્ધર થયાજ્યાં બસ સળગી રહી હતી તેની બિલકુલ નજીક જ પેટ્રોલ પંપ આવેલો હતો. પેટ્રોલ પંપ પર વાહનોની ભારે ભીડ હોવાથી અને રોડ પર ટ્રાફિક જામ હોવાથી મોટી દુર્ઘટનાનો ભય સર્જાયો હતો. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી ત્યારે ટ્રાફિક એટલો વધુ હતો કે ફાયરની 3 ગાડીઓએ જીવના જોખમે રોંગ સાઈડમાં દોડવું પડ્યું હતું. જો આગ પેટ્રોલ પંપ સુધી પ્રસરી હોત તો આખું વિસ્તાર ધણધણી ઉઠત. ફાયર સ્ટેશન નજીક હોવા છતાં ટ્રાફિક નડ્યોનજીકમાં જ કાપોદ્રા ફાયર સ્ટેશન આવેલું હોવા છતાં, રસ્તા પર વાહનોની લાંબી કતારોને કારણે ફાયરના જવાનોને પહોંચવામાં મુશ્કેલી પડી હતી. અંતે અડધા કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતા જ કાપોદ્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક હળવો કરીને પરિસ્થિતિ થાળે પાડી હતી. કોઈ જાનહાનિ ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધોફાયર ઓફિસર કિરણ પટેલે જણાવ્યું હતું કે, ડ્રાઈવરે જણાવ્યું હતું કે, ડ્રાઈવર સાઈડથી આગ શરૂ થઈ હતી. તેને તરત જ બસ ઉભી રાખી દીધી. મુસાફરોને બસમાંથી નીચે ઉતરી દીધા હતા. ભગવાનની દયાથી કોઈને ઈજા થઈ નથી. ડ્રાઇવરની બાજુમાંથી સ્પાર્ક થઈને આગ લાગી હોવાની શક્યતા છે. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:05 am

પાલિકાના આકારણી અધિકારીને 3 વર્ષની જેલ:5 હજારની લાંચ લેતા ઝડપાયાના 13 વર્ષ બાદ કોર્ટે ફટકાર્યો દંડ, 15 હજાર રૂપિયાનો દંડ ભરવાનો હુકમ

સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં ફરજ બજાવતા આકારણી અધિકારી અશ્વિન પટેલને 13 વર્ષ જૂના લાંચના કેસમાં કોર્ટે કડક સજા ફટકારી છે. વર્ષ 2013માં પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપાયેલા આ અધિકારીને સુરતની સ્પેશિયલ કોર્ટે ત્રણ વર્ષની સખત કેદ અને 15 હજાર રૂપિયાનો દંડ ભરવાનો હુકમ કર્યો છે. સરકારી વકીલ નીતિન ચોડવડિયાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે ભ્રષ્ટાચારને સમાજ માટે કાળચક્ર સમાન ગણાવ્યું હતું. દુકાનની આકારણી માટે 15 હજારની માગણીઆ કેસની વિગત મુજબ, રાંદેર રોડ પર રહેતા અને ઉધના સાઈબાબા કમ્પાઉન્ડમાં ત્રણ દુકાનો ધરાવતા ફરિયાદીએ વર્ષ 2013માં પોતાની મિલકતની આકારણી કરાવવા માટે ઉધના ઝોન ઓફિસનો સંપર્ક કર્યો હતો. ત્યાં તેમની મુલાકાત તત્કાલીન આકારણી અધિકારી અશ્વિન પટેલ સાથે થઈ હતી. આરોપીએ ફરિયાદીને જણાવ્યું હતું કે દુકાનની કુલ આકારણી 30 થી 35 હજાર જેટલી થશે, પરંતુ કામ પતાવવા માટે ઉપરથી 15 હજાર રૂપિયા આપવા પડશે. 5 હજાર પર સેટલમેન્ટ અને ટ્રેપફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ મામલે એસીબીનો સંપર્ક કર્યો હતો. દરમિયાન, આરોપી અધિકારી અને ફરિયાદી વચ્ચે રકઝક બાદ અંતે 5 હજાર રૂપિયામાં સેટલમેન્ટ થયું હતું. એસીબીએ છટકું ગોઠવ્યું અને જેવી ફરિયાદીની પોતાની દુકાને આરોપી અશ્વિન પટેલે પાંચ હજારની લાંચ સ્વીકારી, કે તરત જ ટીમ ત્રાટકી હતી અને તેને રંગેહાથે ઝડપી પાડી જેલભેગો કર્યો હતો. ભ્રષ્ટાચાર એ નાગરિકોના અધિકારોનું હનનઆ કેસના ચુકાદામાં નામદાર કોર્ટે અત્યંત આકરી અને સૂચક ટિપ્પણી કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, ભ્રષ્ટાચાર એ દેશના સામાન્ય નાગરિકોના મૌલિક અધિકારોનો વિનાશ કરતું અને માનવ અધિકારોનું હનન કરતું કાળચક્ર છે. આવા કૃત્યોથી માત્ર તંત્રની છબી ખરડાય છે એવું નથી, પરંતુ સામાન્ય જનતાનો લોકશાહી અને કાયદા પરથી વિશ્વાસ પણ ડગમગી જાય છે. કોર્ટે વધુમાં જણાવ્યું કે ભ્રષ્ટાચાર એ લોકશાહીના મૂલ્યોને જડમૂળમાંથી વજ્રઘાત કરતું પરિબળ છે. જ્યારે કોઈ સરકારી અધિકારી પોતાના પદનો દુરુપયોગ કરી લાંચ માંગે છે, ત્યારે સમગ્ર વહીવટી તંત્ર જનતાની નજરમાં શંકાસ્પદ બની જાય છે. ફરિયાદ પક્ષે રજૂ કરેલા પુરાવાઓ પરથી સાબિત થયું હતું કે આરોપીએ જાણીબૂઝીને આર્થિક લાભ મેળવવા માટે પદનો ગેરલાભ ઉઠાવ્યો હતો. દયા બતાવવી એ સમાજ માટે જોખમીસજાના પ્રમાણ અંગે કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો ભ્રષ્ટાચાર સાબિત થયો હોય તેવા કેસમાં જરૂર કરતાં વધુ દયા બતાવવામાં આવે, તો તેનાથી સમાજનું હિત જોખમાય છે. સમાજમાં કાયદાનું શાસન પ્રવર્તમાન રહે અને ભ્રષ્ટાચાર નાબૂદ થાય તે હેતુસર આરોપીને દાખલારૂપ સજા કરવી એ અદાલતની નૈતિક અને કાયદાકીય ફરજ છે. આ ચુકાદાથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 11:38 pm

સુરેન્દ્રનગરમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:કલેક્ટરે અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી ભીડ ટાળવા અપીલ કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા કલેક્ટરે નાગરિકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને ગભરાટ ન ફેલાવવા અપીલ કરી છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં ક્યાંય પણ ઇંધણની અછત નથી. કલેક્ટરે પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ ન કરવા અને પોતાની જરૂરિયાત મુજબ જ ઇંધણ પુરાવવા જણાવ્યું છે. ઘણા લોકો ભવિષ્યની ચિંતામાં પેટ્રોલ-ડીઝલનો સંગ્રહ કરી રહ્યા છે, જે અયોગ્ય છે. આવા બિનજરૂરી સંગ્રહથી કૃત્રિમ અછત જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, જેના કારણે સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડી શકે છે. જિલ્લા વહીવટી તંત્રએ તમામ નાગરિકોને સહયોગ આપવા અને અફવા ફેલાવતા તત્વોથી સાવધ રહેવા અનુરોધ કર્યો છે. કોઈપણ ભ્રામક માહિતીની સત્યતા તપાસ્યા વિના તેને આગળ ન ફેલાવવા અને પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ કરી અવ્યવસ્થા ન સર્જવા જાહેર જનતાને નમ્ર અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 10:39 pm

સુરતની મિલેનિયમ-1 ટેક્સટાઈલ માર્કેટમાં 23 દિવસમાં બીજી વાર આગ ભભૂકી:ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાં એકાએક ધુમાડા નીકળતા વેપારીઓના શ્વાસ અધ્ધર, ત્રણ ફાયર સ્ટેશનની પાંચથી વધુ ગાડીઓ ઘટના સ્થળે

સુરત શહેરના ધમધમતા રીંગરોડ વિસ્તારમાં આવેલી જાણીતી મિલેનિયમ-1 ટેક્સટાઇલ માર્કેટમાં આજે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કાપડની દુકાનમાં લાગેલી આગને પગલે ધુમાડાના ગોટેગોટા ઉઠતા વેપારીઓ અને ગ્રાહકોમાં નાસભાગ મચી ગઈ હતી. લહેંગા અને શૂટના કિંમતી જથ્થાને બહાર કાઢી બચાવવાના પ્રયાસોમાર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી 'કપૂર લહેંગા, શૂટ અને સાડી' નામની દુકાનમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય અકસ્માતને કારણે અચાનક આગ લાગી હતી. દુકાનમાં કાપડનો જથ્થો હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગતા જ આસપાસના લોકો અને વેપારીઓએ એકઠા થઈને લહેંગા અને શૂટના કિંમતી જથ્થાને બહાર કાઢી બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમ એક્શનમાં આવી હતી. નજીકના ત્રણ ફાયર સ્ટેશનની 5થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. 23 દિવસમાં બીજી વખત આગની ઘટનાનોંધનીય છે કે, બરાબર 23 દિવસ પહેલા પણ આ જ મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે માર્કેટના વેપારીઓના જીવ અધ્ધર થઈ ગયા છે. માર્કેટમાં સુરક્ષાના સાધનો અને ફાયર સેફ્ટીની અમલવારી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સદનસીબે, આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ આર્થિક નુકસાન મોટા પાયે થયું હોવાની આશંકા છે. હાલ ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે ઠારવાની અને 'કુલિંગ' કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 10:33 pm

વડોદરા મહાનગરપાલિકાની મતદારયાદી જાહેર:શહેરમાં 12 લાખ મતદારો નોંધાયો, 6.12 લાખ પુરૂષ અને 5.95 લાખ મહિલા વોટર્સ; જાણો પોતાનું નામ કેવી રીતે ચેક કરશો?

વડોદરા મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓના ભાગરૂપે શહેરના તમામ 19 વોર્ડની વિભાગવાર મુસદ્દારૂપ મતદારયાદીઓ તા. 23 માર્ચ 2026ના રોજ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. પાલિકા તંત્ર દ્વારા આ યાદીઓ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતેની ઇલેક્શન શાખા, તમામ વહીવટી વોર્ડ કચેરીઓ, કલેક્ટર કચેરી તેમજ મ્યુનિસિપલ સેક્રેટરી શાખા જેવા વિવિધ જાહેર સ્થળોએ નાગરિકોના અવલોકન માટે મૂકવામાં આવી છે. મનપાની ચૂંટણી માટે 1131 મતદાન મથકઆ પ્રસિદ્ધ કરવામાં આવેલી નવીનતમ આંકડાકીય માહિતી અનુસાર, વડોદરાના કુલ 19 વોર્ડમાં મતદાન મથકો એટલે કે બૂથની સંખ્યા 1131 નોંધાઈ છે. શહેરના કુલ નોંધાયેલા 12,08,021 મતદારોમાં 6,12,825 પુરુષ મતદારો અને 5,95,099 મહિલા મતદારોનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય મતદારોની સંખ્યા 97 અને સર્વિસ મતદારોની સંખ્યા 400 જેટલી છે. આ મતદારો આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 2021ની સરખામણીમાં મોટો ફેરફારનોંધપાત્ર બાબત એ છે કે, સને 2021ની સરખામણીમાં આ વખતે આંકડાઓમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અગાઉની સરખામણીએ મતદાન મથકોની સંખ્યામાં 164નો ઘટાડો થયો છે, તેમજ કુલ મતદારોની સંખ્યામાં 2,38,191 જેટલો જંગી ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત, વિવિધ કારણોસર યાદીમાંથી 10,099 જેટલા મતદારોના નામ કમી કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. નોંધનીય બાબત એ છે એક એસઆઇઆરની કામગીરી બાદ અનેક મતદારોના નામ કમી થયા છે. જેના આધારે આ યાદી બહાર પાડવામાં આવી છે. જો કોઈનું નામ રહી ગયું હોય તો સુધારો કરાવી શકાશેતંત્ર દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિનું નામ સંબંધિત વિધાનસભા મતદાર વિભાગની યાદીમાં નોંધાયેલું હોય, પરંતુ મહાનગરપાલિકાની આ નવી મુસદ્દારૂપ યાદીમાં કોઈ કારણોસર રહી ગયું હોય, તો તેઓ સુધારો કરાવી શકે છે. આવા રહી ગયેલા મતદારોએ જરૂરી પુરાવાઓ સાથે ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગના પ્રથમ માળે આવેલી રૂમ નં. 127, ઇલેક્શન શાખા ખાતે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. આ પ્રક્રિયા દ્વારા ચૂંટણી પૂર્વે કોઈ પણ લાયક મતદાર વંચિત ન રહી જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. નાગરિકોએ પોતાની વિગતો ચકાસી લેવા અને લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. મતદારયાદીમાં પોતાનું નામ કેવી રીતે ચેક કરશો? તંત્ર દ્વારા જાહેર કરાયેલા નીચેના સ્થળોએ જઈને તમે વોર્ડવાર મતદારયાદીમાં તમારું નામ ચકાસી શકો છો. મુખ્ય કચેરી, ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ, પ્રથમ માળે, ઇલેક્શન શાખા (રૂમ નં. 127).વોર્ડ કચેરી: તમારા વિસ્તારની જે-તે વહીવટી વોર્ડ નં. 1 થી 19 ની કચેરી ખાતે.અન્ય સરકારી કચેરીઓ: કલેક્ટર કચેરી અથવા પાલિકાની મ્યુનિસિપલ સેક્રેટરી શાખા ખાતે પણ આ યાદીઓ નિદર્શન માટે મૂકવામાં આવી છે. ઓનલાઇન નામ ચેક કરવા માટે VMC વેબસાઇટ

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 10:29 pm

વેરાવળમાં શહીદ દિને ભવ્ય તિરંગા યાત્રા:150 ફૂટના તિરંગા સાથે 300 યુવાનો જોડાયા, વંદે માતરમના નાદથી ગુંજ્યું શહેર

વેરાવળમાં શહીદ દિન નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની યુવા પાંખ ‘એરાઇઝ ક્લબ’ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં 150 ફૂટ લાંબા તિરંગા સાથે 300થી વધુ યુવાનો જોડાયા હતા. યાત્રા ચોપાટીથી શહીદચોક સુધી લગભગ ત્રણ કિલોમીટર લાંબી હતી. યાત્રા દરમિયાન “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના નારા ગુંજી ઉઠ્યા હતા. માર્ગમાં અનેક સ્થળોએ સ્થાનિક નાગરિકોએ ફૂલ વરસાવી યાત્રાનું સ્વાગત કર્યું હતું. આ તિરંગા યાત્રા દેશ માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાઈ હતી. યુવાનોના હાથમાં ફરકતો તિરંગો અને તેમના ચહેરા પરનો ઉત્સાહ દેશપ્રેમની ભાવના દર્શાવતો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગીર સોમનાથ જિલ્લાના સંઘચાલક પ્રફુલભાઈ હરિયાણીએ જણાવ્યું હતું કે, દેશની સરહદો પર શહીદ થયેલા યુવાનોના બલિદાનને ભૂલી શકાય નહીં. આવા શહીદોની યાદમાં અને તેમની પ્રેરણાથી યુવા પેઢી રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્રરક્ષા માટે સજાગ બને તેવા આશયથી આ યાત્રાનું આયોજન કરાયું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “વંદે માતરમ” ગાનને 150 વર્ષ પૂર્ણ થયા છે, જે દેશ માટે ગૌરવની બાબત છે અને તે દરેક ભારતીયના હૃદયમાં દેશપ્રેમની જ્યોત પ્રગટાવે છે. યાત્રા દરમિયાન શિસ્તબદ્ધ આયોજન અને યુવાનોની ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી હતી. આ કાર્યક્રમે યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 10:22 pm

પોરબંદરમાં પરશુરામ રોડ પર 3 ગેરકાયદેસર દુકાનો સીલ:મહાનગરપાલિકાએ 50 લાખની મિલકતનો કબજો લીધો, PGVCLએ વીજ કનેક્શન કાપ્યા

પોરબંદર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે શહેરના પરશુરામ રોડ પર આવેલી ત્રણ ગેરકાયદેસર દુકાનોને સીલ કરી દીધી છે. આ દુકાનોની અંદાજિત 50 લાખ આંકવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની ટીમે આ સરકારી જમીન પરના દબાણનો વિધિવત કબજો સંભાળી લીધો છે. ટાઉન પ્લાનિંગ વિભાગના એસ્ટેટ ઓફિસર હિતેશભાઈ ગોરસીયાના જણાવ્યા અનુસાર, સંજયભાઈ લગધીરભાઈ ઓડેદરા દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના આ દુકાનોનું બાંધકામ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ અગાઉ આ દબાણકર્તાને નોટિસ ફટકારીને 30 દિવસમાં દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. જોકે, નિર્ધારિત સમયમર્યાદામાં કોઈ કાર્યવાહી ન થતાં તંત્ર દ્વારા કડક પગલાં લેવાનો નિર્ણય કરાયો હતો. આજ રોજ હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન, PGVCLની ટીમે દુકાનોના બે વીજ કનેક્શન સ્થળ પર જ કાપી નાખ્યા હતા અને બંને વીજ મીટરો જપ્ત કર્યા હતા. ત્યારબાદ ટાઉન પ્લાનિંગ વિભાગે આ ₹૫૦ લાખની મિલકતનો સત્તાવાર કબજો લીધો હતો. એસ્ટેટ ઓફિસર હિતેશભાઈ ગોરસિયાએ જણાવ્યું હતું કે, શહેરમાં અનધિકૃત બાંધકામ કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ આવી જ સખત કાર્યવાહી ચાલુ રહેશે. નાગરિકોને નમ્ર અપીલ છે કે તેઓ કાયદાનું પાલન કરે અને મંજૂરી વિનાના દબાણોથી દૂર રહે. આ સમગ્ર ઓપરેશનમાં એસ્ટેટ ઓફિસર હિતેશભાઈ ગોરસિયા સાથે સિવિલ એન્જિનિયર હાર્દિકભાઈ ઓડેદરા અને હાર્દિકભાઈ બોરીચા સહિતનો સ્ટાફ જોડાયો હતો. તંત્રની આ કાર્યવાહીથી દબાણકર્તાઓમાં કડક સંદેશ ગયો છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 10:21 pm

ગીર સોમનાથમાં ઈંધણની અફવાઓથી પંપો પર ભીડ:વેરાવળ સહિત જિલ્લામાં લાંબી કતારો, તંત્રએ અછત ન હોવાની ખાતરી આપી

ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાઓને કારણે લોકોમાં અચાનક ગભરાટ ફેલાયો છે. વેરાવળ સહિત જિલ્લાના અનેક શહેરોમાં પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. સાંજ પડતા જ ઈંધણ ભરાવવા માટે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો, જેના કારણે કેટલાક સ્થળોએ ટ્રાફિક જામ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. જિલ્લામાં એવી અફવાઓ ફેલાઈ હતી કે પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટી રહ્યો છે. આ અફવાઓના પગલે લોકો ઉતાવળમાં ઈંધણ ભરાવવા પંપો તરફ દોડી આવ્યા હતા. પરિણામે, સામાન્ય દિવસોની સરખામણીએ પંપો પર અનેક ગણો વધારાનો ઘસારો નોંધાયો અને લાંબી કતારો લાગી. ગીર સોમનાથ જિલ્લા પેટ્રોલ-ડીઝલ પંપ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામસીભાઈ બારડે આ પરિસ્થિતિ પાછળના બે મુખ્ય કારણો જણાવ્યા છે. પ્રથમ કારણ એ છે કે પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા અગાઉ પંપ માલિકોને ડેબિટમાં ઈંધણ પૂરું પાડવામાં આવતું હતું, પરંતુ હાલમાં આ સુવિધા બંધ કરવામાં આવી છે. આના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને હાઇવે પર આવેલા કેટલાક પંપો પર સમયસર સપ્લાય ન મળતા ડ્રાય સ્થિતિ ઊભી થઈ હતી. બીજું કારણ ભાવમાં તફાવત છે. કંપનીઓ દ્વારા કન્ઝ્યુમર વેચાણમાં પ્રતિ લિટર રૂ. 20 થી 22 જેટલો વધારો નોંધાતા, મોટા જથ્થાના ગ્રાહકો સસ્તું ઈંધણ મેળવવા રિટેલ પંપો તરફ વળ્યા હતા. આથી રિટેલ પંપો પર અચાનક ભાર વધ્યો અને ભીડમાં વધારો થયો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પેટ્રોલ-ડીઝલ પંપ ઓનર્સ એસોસિએશન બંનેએ સ્પષ્ટતા કરી છે કે જિલ્લામાં ઈંધણનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. કોઈ વાસ્તવિક અછત નથી અને સપ્લાય નિયમિત રીતે ચાલુ છે. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ગભરાટમાં આવીને અનાવશ્યક રીતે ઈંધણ ભરાવવા દોડી ન જાય. જોકે, આ સ્પષ્ટતા છતાં વેરાવળ સહિત જિલ્લાના અનેક પેટ્રોલ પંપો પર સાંજથી જ લાંબી કતારો યથાવત જોવા મળી રહી છે, અને કેટલાક સ્થળોએ લોકોને લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 10:19 pm

મોડાસામાં પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદીનો હાસ્ય દરબાર યોજાયો:લકુલીશ યોગાશ્રમ માટે દાન એકત્રિત કરાયું, શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

મોડાસામાં આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર, સમાજસેવક અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડૉ. જગદીશભાઈ ત્રિવેદીનો હાસ્ય દરબાર યોજાયો હતો. આ કાર્યક્રમ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા સ્થિત લકુલીશ યોગાશ્રમના લાભાર્થે આયોજિત કરાયો હતો. આ પ્રસંગે મુંબઈના જાણીતા કલાકાર ભાગ્યેશભાઈ તેમજ સંતો-મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. 23મી માર્ચ, શહીદ દિવસને અનુલક્ષીને ડૉ. જગદીશભાઈ ત્રિવેદીએ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ અને મદનલાલ જેવા યુવાનોના બલિદાનને યાદ કર્યા હતા. તેમણે શહીદોને અંજલિ આપતા તે સમયના ઇતિહાસને તાજો કર્યો હતો, જેમાં ઉપસ્થિત સૌએ ભાવપૂર્વક સૂર પુરાવ્યો હતો.ડૉ. ત્રિવેદીએ હળવી હાસ્યની વાતો સાથે શ્રોતાઓને સમાજ સેવા અને કરુણાનો સંદેશ આપ્યો હતો. તેમણે હાસ્ય રસ દ્વારા દેશભક્તિ અને સમાજ સેવાનો ભાવ જગાડ્યો હતો. લકુલીશ યોગાશ્રમની સેવાઓથી પ્રભાવિત થઈને ડૉ. જગદીશભાઈ ત્રિવેદીએ સંસ્થા માટે રૂ. એક લાખના દાનની જાહેરાત કરી હતી. સંસ્થાના ઉપપ્રમુખ મહેશભાઈ પટેલે પણ રૂ. એક લાખનું દાન આપવાની ઘોષણા કરી હતી. તેમની અપીલ બાદ પાંચ મિનિટમાં જ સભામાંથી દાનનો પ્રવાહ શરૂ થયો હતો, જેને ઉપસ્થિત પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. કાર્યક્રમના પ્રારંભે સ્વામી પ્રીતમ મુનિએ આશ્રમમાં ચાલતી શૈક્ષણિક, આરોગ્યલક્ષી અને ધાર્મિક પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી અને જનતાને સહયોગ આપવા હાકલ કરી હતી. સંસ્થાના પ્રમુખ વિનોદભાઈ પંડ્યાએ સૌનું સ્વાગત કરી સંસ્થાની સેવાઓનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના સુરેન્દ્રસિંહ રાઠોડ, મહેશ પટેલ, અમરીશ પંડ્યા ઉપરાંત જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કનુભાઈ આર પટેલ, અરવલ્લી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ પ્રભુદાસ પટેલ, આકરૂંદના મુખ્ય શિક્ષક, સાહિત્યકાર અને લેખક ઈશ્વરભાઈ પ્રજાપતિ, બિપીનભાઈ શાહ, મહેન્દ્રમામા અને અશોક જોષી દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. મોડાસા અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આભાર વિધિ સંસ્થાના ઉપપ્રમુખ મહેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 10:14 pm