અમદાવાદના શાહપુર વિસ્તારમાં ભવન્સ કોલેજ નજીક મેટ્રો બ્રિજ પાસે મોડી રાત્રે પીસીબીએ 102 લીટર દેશી દારૂનો જથ્થો રીક્ષામાંથી ઝડપી પાડ્યો હતો. જ્યારે રીક્ષાચાલક અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. પોલીસે રીક્ષા નંબરના આધારે હાલ આરોપીની શોધખોળ શરૂ કરી છે. રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી થવાની પોલીસને બાતમી મળીમળતી માહિતી મુજબ પીસીબીની ટીમને બાતમી મળી હતી કે, શાહપુર સાબરમતી રિવરફ્રન્ટ તરફથી વિઠ્ઠલ સૈયદની ચાલી પાસેથી એક રીક્ષામાં દેશી દારૂનો જથ્થો પસાર થવાનો છે. જેના આધારે ભવન્સ કોલેજની આગળ મેટ્રો બ્રિજ નીચેના તરફ ખુલ્લા મેદાન પાસે વોચ ગોઠવી રીક્ષાને ઉભી રાખવામાં આવી હતી. 102 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યોજોકે રીક્ષાચાલક રીક્ષા મૂકી અને અંધારાનો લાભ લઈને નાસી ગયો હતો. અંધારામાં તેને પકડવા માટે દોડ્યા હતા, પરંતુ અંધારું વધારે હોવાના કારણે તેનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. જ્યારે રીક્ષામાં પોલીસે તપાસ કરી તો પાછળના ભાગે પેસેન્જર સીટ પર અલગ અલગ છ જેટલા મોટા પ્લાસ્ટિકના થેલા મળી આવ્યા હતા. જે થેલાની અંદર તપાસ કરતાં દેશી દારૂની થેલીઓ મળી આવી હતી. 102 લીટર જેટલો મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને રીક્ષા નંબરના આધારે હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અન્ય વિસ્તારમાંથી પણ દેશી દારૂનો જથ્થો ઝડપાયોશહેરના સરદારનગર વિસ્તારમાંથી પણ પીસીબી દ્વારા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તાર આવતાં કુબેરનગર નહેરુનગરના મકાન આદર્શનગર સ્કૂલ પાછળ આવેલા ઇલે.પોલ નંબર KF 2143ની સામે આવેલી એક સીડી વાળા મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી સિલબંધ બોટલો તથા બીયરના ટીન મળી કુલ બોટલ નંગ 301 કિ.રૂ. 1,91, 142ની જપ્ત કરવામાં આવી છે. પીસીબીની ટીમે બાતમીના આધારે કુબેર નગર વિસ્તારમાં આવેલા મકાનમાં દરોડો પાડ્યો હતો. સપના ઉર્ફે બળેલી સુકેન ગારંગે રહે.કુબેરનગર અને નીતેશભાઇ શેતાનસીંહ મીણેકર રહે. 38 ચાલીસ મકાન સરદાર ગ્રામ રેલ્વે સ્ટેશન પાસે કુબેરનગરને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.
વડોદરાની પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:ધમકીભર્યો ઈ-મેઈલ આવતાં યુનિવર્સિટીમાં દોડધામ
વડોદરાની પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીભર્યો ઈ-મેઈલ આવતાં યુનિવર્સિટીમાં દોડધામ મચી છે. બોમ્બ-ડોગ સ્ક્વોડની ટીમ, ગ્રામ્ય LCB, SOG અને સ્થાનિક પોલીસની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી છે. કોલેજ કેમ્પસમાંથી વિદ્યાર્થીઓ સહિત સ્ટાફને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. આ યુનિવર્સિટીમાં ભારતના 29 રાજ્ય અને 75થી વધુ દેશના 65 હજારથી વધુ સ્ટુડન્ટ અભ્યાસ કરે છે. આખી યુનિવર્સિટીમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સ્કૂલો, કોર્ટને પણ ધમકી આપવામાં આવી હતી. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
ગાંધીનગરમાં વાહનચાલકો માટે ડેથ ટ્રેપ સાબિત થઈ રહેલા ઈન્દ્રોડા ગામના કટ પાસે સર્જાયેલા વધુ એક અકસ્માતે માર્ગ સલામતી સામે સવાલો ઊભા કર્યા છે. આ અકસ્માતમાં સુદાનના એક યુવકનું એક્ટિવા બેરિકેટ સાથે જોરદાર અથડાવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ અંગે હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક યુવક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવાની શક્યતા છે. હાલ તો પોલીસે તેની ઓળખ માટે કવાયત હાથ ધરી છે. ઈન્દ્રોડા ગામના કટ પાસે બેરીકેટ સાથે એક્ટિવા અથડાયુંમળતી માહિતી મુજબ એક યુવક પોતાની એક્ટિવા પર પસાર થઈ રહ્યો હતો. ત્યારે ઈન્દ્રોડા ગામના કટ પાસે રસ્તા પર મુકવામાં આવેલા બેરીકેટ સાથે તેનું એક્ટિવા પૂરઝડપે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા ચાલક હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. મૂળ સુદાનના યુવકનું મોતઆ અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે જ મોત થયું છે. હાલમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા મૃતક યુવક મૂળ સુદાનનો રહેવાસી હતો. તે ગાંધીનગરની કોઈ ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવાની શક્યતા છે. પોલીસે હાલ તેના ઓળખ માટે કવાયત હાથ ધરી છે. ઈન્દ્રોડા ગામના કટ પાસે અકસ્માતોની સંખ્યા વધી રહી છેગાંધીનગરના આ ચોક્કસ વિસ્તારમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. અગાઉના કિસ્સાઓ પર નજર કરીએ તો ઈન્દ્રોડા સર્કલથી આગળ વધતા આવતા કટ પાસે વાહનોની ગતિ બેકાબૂ હોય છે. ગત વર્ષે જ આ વિસ્તારમાં બે અકસ્માતો નોંધાયા હતા, જેમાં એક બાઈક સવાર મોતને ભેટ્યો હતો.
બોટાદમાં ચેક રિટર્નની અદાવતે ખેડૂત પર હુમલો:ચાર શખસે હુમલો કર્યો, પોલીસ તપાસ શરૂ
બોટાદના હડદડ ગામે ચેક રિટર્નની ફરિયાદની અદાવત રાખી ચાર શખ્સોએ એક ખેડૂત પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ખેડૂતને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પાળીયાદ પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હડદડ ગામના 40 વર્ષીય મુકેશભાઈ જુગાભાઈ જમોડે પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, બોટાદના હનુભાઈ ખોડાભાઈ ગાબુએ મુકેશભાઈને ફોન કરીને તેમની વિરુદ્ધ નોંધાવેલી ચેક રિટર્નની ફરિયાદ પાછી ખેંચવા ધમકી આપી હતી. ધમકી આપ્યા બાદ, હનુભાઈ અને તેમની સાથેના ત્રણ અજાણ્યા શખ્સો બે મોટરસાયકલ પર મુકેશભાઈના ઘરે પહોંચ્યા હતા. તેઓએ ઘરની બહાર આવી હોબાળો મચાવ્યો હતો. જ્યારે મુકેશભાઈ બહાર આવ્યા, ત્યારે હનુભાઈ અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ લોખંડના પાઈપ વડે તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં મુકેશભાઈને ઈજા થતાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પાળીયાદ પોલીસે આ બનાવ અંગે ચારેય શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(1), 351(2), 351(3), 352, 54 તથા જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સરદાર પટેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ એપ્લાઈડ એન્ડ ઈન્ટરડિસીપ્લિનરી સાયન્સિસ (DAIS) દ્વારા આયોજિત બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ ‘CISHTS-2026’નો ઇન્દુકાકા ઇપ્કોવાલા ઓડિટોરિયમ ખાતે પ્રારંભ થયો છે. આ પરિષદમાં અમેરિકા, સિંગાપોર, જાપાન અને ચેક રિપબ્લિક સહિત પાંચ દેશોના વૈજ્ઞાનિકો અને સંશોધકોએ આરોગ્ય, ટેકનોલોજી અને ટકાઉ વિકાસ માટે 'કન્વર્જન્ટ સાયન્સ' (વિવિધ વિજ્ઞાન શાખાઓનું સંકલન) ના મહત્વ પર ભાર મૂક્યો હતો. પરિષદના ઉદ્ઘાટન પ્રસંગે કુલપતિ પ્રો. ડો. નિરંજન પટેલે જણાવ્યું હતું કે, આધુનિક વૈજ્ઞાનિક સમસ્યાઓ કોઈ એક વિષય પૂરતી મર્યાદિત નથી. ડાયાબિટીસથી લઈને ક્લાઈમેટ ચેન્જ જેવા પડકારોના ઉકેલ માટે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી જેવા વિજ્ઞાનો વચ્ચે સંકલન અનિવાર્ય છે. મુખ્ય અતિથિ ડૉ. દિવેશ શ્રીવાસ્તવે (CSIR) મોબાઈલ ટેકનોલોજીનું ઉદાહરણ આપીને 'કન્વર્જન્ટ સાયન્સ'ની ઉપયોગિતા સમજાવી. આ પરિષદમાં અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેન્ટુકીના ડૉ. કીથ પેનીપેકરે 'સ્ટ્રોક' પર પોતાનું સંશોધન રજૂ કર્યું હતું, જે વિશ્વમાં મૃત્યુ અને અપંગતાનું મુખ્ય કારણ છે. તેમણે મોલેક્યુલર સ્તરે સ્ટ્રોકની પદ્ધતિ સમજાવીને નવી સારવાર પદ્ધતિઓ વિકસાવવાની આશા વ્યક્ત કરી. ચેક રિપબ્લિકના ડૉ. જીરી સેર્વેન્કાએ ભવિષ્યમાં વીજળી સંગ્રહ કરવા માટે નેનોમટીરિયલ આધારિત અદ્યતન બેટરી ટેકનોલોજી પર પ્રકાશ પાડ્યો હતો, જે ઊર્જા સંગ્રહ ક્ષેત્રે નવા આયામો ખોલી શકે છે. આ પરિષદમાં કુલ 463 પ્રતિભાગીઓએ નોંધણી કરાવી હતી, જેમાં પ્રોફેસર્સ, ડૉક્ટર્સ અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. શૈક્ષણિક સત્રો દરમિયાન 241 પોસ્ટર પ્રેઝન્ટેશન અને 61 ઓરલ પ્રેઝન્ટેશન દ્વારા આધુનિક વિજ્ઞાનના વિવિધ પાસાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ મલ્ટી-ડિસિપ્લિનરી ઇવેન્ટને GSBTM (ગાંધીનગર), DBT (નવી દિલ્હી) અને ANRF જેવી રાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી.
સરદાર પટેલ યુનિવર્સિટીના મણિબેન પટેલ વિમેન્સ સ્ટડીઝ સેન્ટર દ્વારા યુનિવર્સિટી લેડીઝ હોસ્ટેલ ખાતે નવ દિવસીય સેલ્ફ ડિફેન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં 15 થી વધુ વિદ્યાર્થિનીઓને આત્મરક્ષાની વિવિધ તકનીકો શીખવવામાં આવી હતી. આ તાલીમ વાડોકાઈ કરાટે ડો ફેડરેશન ઓફ ઇન્ડિયાના ટેક્નિકલ ડિરેક્ટર જિજ્ઞેશકુમાર ઠક્કર દ્વારા આપવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણ માટેની આવશ્યક પદ્ધતિઓનું પ્રશિક્ષણ આપ્યું હતું. વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થિનીઓમાં આત્મરક્ષા કૌશલ્યો વિકસાવવાનો, તેમનો આત્મવિશ્વાસ વધારવાનો અને કટોકટીની પરિસ્થિતિમાં સ્વરક્ષણ માટે જરૂરી તકનીકોની જાણકારી આપવાનો હતો. આ પ્રયાસ મહિલા સુરક્ષા અંગે જાગૃતિ લાવવા અને તેમને શારીરિક તેમજ માનસિક રીતે સશક્ત બનાવવા માટે કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. યુનિવર્સિટી લેડીઝ હોસ્ટેલના રેક્ટર ડૉ. અનિલા મિશ્રા અને કપિલાબેન મિસ્ત્રી, જાગૃત મહિલા સંગઠનના પ્રમુખ આશાબેન દલાલ, તેમજ મણિબેન પટેલ વિમેન્સ સ્ટડીઝ સેન્ટરના માનદ નિયામક ડો. વિરાજ રોઘેલિયા અને પ્રોજેક્ટ આસિસ્ટન્ટ ભૂમિ ચાવડાનો સહયોગ આ આયોજનમાં મહત્વપૂર્ણ રહ્યો હતો.
આણંદ કોમર્સ કોલેજ દ્વારા ‘ક્લોથ ડોનેશન ડ્રાઈવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ અંતર્ગત એકત્રિત કરાયેલા કપડાંનું સમાજના આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ લોકો સુધી સહાય પહોંચાડવાનો અને વિદ્યાર્થીઓમાં માનવતા તથા સહાનુભૂતિના મૂલ્યોનું સિંચન કરવાનો હતો. એકત્રિત કરાયેલા કપડાંની યોગ્ય ચકાસણી કર્યા બાદ ગરીબ પરિવારોને આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંકલન ગોરધનભાઈ એસ. પટેલ ફોરમ ફોર વેલ્યુ એજ્યુકેશનના સભ્ય ડૉ. આરતી ખાણધર દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. વી. એમ. વનારના માર્ગદર્શન હેઠળ આ પ્રવૃત્તિને વેગ મળ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવામાં ફોરમના કો-ઓર્ડિનેટર ડૉ. મિત્તલ ઠક્કર અને સભ્ય ડૉ. સંજય ઠક્કરનો પણ વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. આ સામાજિક સેવાકીય પ્રવૃત્તિ દ્વારા કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ માનવતાનો સંદેશ પ્રસરાવી અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણા પૂરી પાડી છે.
મોરબીનો સિરામિક ઉદ્યોગ ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પ્રોપેન ગેસની અછત સર્જાઈ છે, જેના પરિણામે છેલ્લા ત્રણ દિવસમાં વધુ 70 પ્રોપેન ગેસ આધારિત કારખાના બંધ થઈ ગયા છે. આ સાથે, યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધીમાં કુલ 170 સિરામિક કારખાના બંધ પડ્યા છે. મોરબીના સિરામિક કારખાનાઓમાં ઉત્પાદન માટે નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ થાય છે. નેચરલ ગેસની સપ્લાય ગુજરાત ગેસ કંપની દ્વારા નિયમિત છે, પરંતુ પ્રોપેન ગેસની સપ્લાય જુદી જુદી કંપનીઓ અને એજન્ટો દ્વારા થાય છે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધને કારણે આ પ્રોપેન ગેસની સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે, જેના લીધે કારખાનાઓને ગેસ મળતો બંધ થઈ ગયો છે. ચાર દિવસ પહેલા મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે ઉદ્યોગકારો વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. તેમણે તે સમયે માહિતી આપી હતી કે પ્રોપેન ગેસની સપ્લાય બંધ થવાથી માત્ર બે દિવસમાં 100 જેટલા સિરામિક કારખાના બંધ થઈ ગયા હતા. જોકે, બાદમાં કેટલીક કંપનીઓ દ્વારા ટેન્કર દ્વારા ગેસ સપ્લાય થતાં અમુક કારખાના ફરી શરૂ થયા હતા. સિરામિક ઉદ્યોગકારોના વર્તુળો પાસેથી મળતી માહિતી અનુસાર, છેલ્લા ત્રણ દિવસમાં પ્રોપેન ગેસની અછતને કારણે વધુ 70 સિરામિક કારખાના બંધ થયા છે. આમ, ઈરાન-ઇઝરાયલ યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધીમાં કુલ 170 કારખાના પ્રોપેન ગેસ ન મળવાને કારણે બંધ પડ્યા છે. આગામી દિવસોમાં આ આંકડો વધીને 450 સુધી પહોંચવાની શક્યતા છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 15 માર્ચના રોજ દાહોદ જિલ્લાના સીંગવડ ખાતે વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે આવશે. મુખ્યમંત્રીના આ સંભવિત પ્રવાસ પૂર્વે દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરીને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ અપાઈ હતી. મુખ્યમંત્રીની હાજરીમાં સીંગવડમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન થશે, જેમાં જિલ્લાના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે. કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્રને સતર્ક રહેવા જણાવાયું છે. ઉનાળાની ઋતુ શરૂ થઈ હોવાથી કલેક્ટરે માનવીય અભિગમ સાથે આયોજન કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ સૂચના આપી કે સભાસ્થળે આવતા નાગરિકો માટે પીવાના પાણીની પૂરતી સુવિધા, છાંયડો અને બેઠક વ્યવસ્થામાં કોઈ કચાસ ન રહે. સ્ટેજ સુશોભન, ભોજન-નાસ્તા, શૌચાલય અને કોઈપણ આકસ્મિક સ્થિતિ માટે સ્થળ પર ઈમરજન્સી મેડિકલ ટીમ તૈનાત રાખવા પણ આદેશ અપાયા છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મિણા, નિવાસી અધિક કલેક્ટર જે. એમ. રાવલ, વન વિભાગના અધિકારીઓ બ્રિજેશ ચૌહાણ અને મિતેશ પટેલ સહિત વહીવટી તંત્રના તમામ પાંખના અધિકારીઓ હાજર રહ્યા હતા. વિવિધ તાલુકાના પ્રાંત અધિકારીઓ અને મામલતદારો સાથે સંકલન સાધી કાર્યક્રમને સફળ બનાવવા આયોજન કરાયું છે.
ભારત સરકાર દ્વારા વર્ષ 2027 માં વસ્તી ગણતરી કરવામાં આવનાર છે ત્યારે ગુજરાતમાં આગામી 20 એપ્રિલથી 19 મે સુધી પ્રથમ તબક્કાની કામગીરી થશે જેમાં સૌપ્રથમ ઘરોની ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ બીજા તબક્કામાં મતદારોની ગણતરી થશે. 800 લોકો દિઠ એક કર્મચારીને વસ્તી ગણતરીનો ઓર્ડર અપાયો છે. જ્યારે 300 કર્મચારીઓ દીઠ એક સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવી છે. દરમિયાન રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા વસ્તી ગણતરીની કામગીરી માટે કર્મચારીઓના ખાસ ઓર્ડર કરવામાં આવ્યા છે. આ સિવાય 5 નાયબ મામલતદારની બદલી કરવામાં આવી છે. રાજકોટમાં વર્ષ 2011 માં થયેલી વસ્તી ગણતરી મુજબ 13.90 લાખ જનસંખ્યા નોંધાઈ હતી. વર્ષ 2021 માં કોરોનાને કારણે વસ્તી ગણતરી ન થઈ શકે ત્યારે હવે 15 વર્ષ બાદ વસ્તી ગણતરી થવા જઈ રહી છે. જેને લઈને તમામ સરકારી વિભાગોના કર્મચારીઓને આ કામમાં જોડવામાં આવી રહ્યા છે. ભારતની વસ્તી ગણતરી-2027 ની પુર્વ તૈયારી રૂપે રાજય/જિલ્લા/તાલુકા સ્તરે વસ્તી ગણતરી બાબતે મ્યુનિસીપલ કમિશ્નર/મુખ્ય અધિકારી/મામલતદાર/ વહીવટી અધિકારી વગેરે દ્વારા ક્ષેત્રિય કામગીરી કરનાર સુપરવાઇઝરો/ગણતરીદારોની નિમણૂંક કરવાની રહેશે. આમ દરેક ચાર્જ અધિકારીઓએ પોતાના તાબા હેઠળના વિસ્તાર માટે વસ્તી ગણતરી અધિનિયમ- 1990 જોગવાઈ-3 હેઠળ સુપરવાઇઝરો/ગણતરીદારોને ભારતની વસ્તી ગણતરી-2027 ની ક્ષેત્રિત કામગીરી અને માહિતી એકત્રિત કરનાર તરીકે નિયુક્ત કરવાના થાય છે. ભારત સરકારના ડીરેક્ટોરેટ ઓફ સેન્સસ ઓપરેશન્સના નિયામકના તા.6 ફેબ્રુઆરી, 2026 ના પત્રથી વર્ષ-2027 માં જનગણના હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. જે અન્વયે ગુજરાત સરકારના નોટીફીકેશન તા.2 ફેબ્રુઆરી, 2026 મુજબ જનગણના -2027 ના પ્રથમ તબક્કમાં ઘરયાદી અને મકાનોની ગણતરી કરવાનું કાર્ય 20 એપ્રિલ 2026 થી 19 મે, 2029 એમ 30 દિવસના સમયગાળામાં કરવાનું નક્કી કરવામાં આવેલ છે. આ કામગીરી માટે ગણતરીદારો અને સુપરવાઇઝરોની નિમણૂંક કરવાની થાય છે. જેથી વસ્તી ગણતરીના કામે નીચે મુજબના કર્મચારીની વસ્તી ગણતરીદાર/સુપરવાઇઝર તરીકે નિમણૂંક કરવા હુકમ કરવામાં આવ્યા છે. રાજકોટ કલેકટરે 3 કર્મચારીઓના વસ્તી ગણતરીની ખાસ કામગીરી માટેના ઓર્ડર કર્યા કર્મચારીનું નામ અને હોદ્દો - ફરજની કચેરી રાહુલ ચૌહાણ (પુરવઠા નિરીક્ષક) - રાજકોટ જિલ્લા પુરવઠા કચેરી કોમલ એન. વાઢેર (નાયબ મામલતદાર) - રાજકોટ તાલુકા મામલતદાર કચેરી પ્રદીપ કે. પરમાર (ક્લાર્ક) - જામકંડોરણા મામલતદાર કચેરી કયા નાયબ મામલતદારને કયા બદલી ? કર્મચારીનું નામ - હાલની ફરજ - ક્યાં બદલી થઈ? 1. અંકિત શેખડા - નાયબ મામલતદાર (પ્રાંત કચેરી, ધોરાજી) - શિરસ્તેદાર (પ્રાંત કચેરી, ધોરાજી)2. કનુભાઈ પરમાર - નાયબ મામલતદાર (મામલતદાર કચેરી, ધોરાજી) - નાયબ મામલતદાર (પ્રાંત કચેરી, ધોરાજી) 3. યોગીરાજસિંહ ગોહિલ - નાયબ મામલતદાર (દબાણ -1, મામલતદાર કચેરી, લોધીકા)- શિરસ્તેદાર (પ્રાંત કચેરી, રાજકોટ શહેર -1) 4. વસીમ રિઝવી - નાયબ મામલતદાર (પ્રાંત કચેરી, રાજકોટ શહેર - 1) - નાયબ મામલતદાર (રજીસ્ટ્રી શાખા, કલેકટર કચેરી, રાજકોટ) 5. હિતેન્દ્રસિંહ ચુડાસમા - નાયબ મામલતદાર (દબાણ - 2, મામલતદાર કચેરી, કોટડાસાંગાણી) - પુરવઠા નિરીક્ષક (જિલ્લા પુરવઠા કચેરી, રાજકોટ) વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ રાજકોટની વસ્તી કુલ વસ્તી: 13,90,640 પુરુષ વસ્તી: 52.43%સ્ત્રી વસ્તી: 47.47%સાક્ષરતા દર: 82.20%મુખ્ય ધર્મ: હિન્દુ (89.90%), ઇસ્લામ (7.68%), જૈન (1.90%)મુખ્ય ભાષા: ગુજરાતી
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના આંગણકાથી નાના ખુટવડા માર્ગ પર મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકે બાઇક પર સવાર બે સગીરને અડફેટે લેતા બંનેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મૃતકોની ઓળખ 13 વર્ષીય વરુણ મુકેશભાઈ મકવાણા અને 15 વર્ષીય ગણેશ ધરમશીભાઈ ધાપા તરીકે થઈ છે. આ ઘટના ગઈકાલ મોડી રાત્રિના સમયે બની હતી. અકસ્માત સર્જાયા બાદ ટ્રેક્ટર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે છોડીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે બગદાણા પોલીસે જાણ થતા જ વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર ટ્રેક્ટર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કરુણ ઘટનાથી મૃતકના પરિવારજનો અને મહુવા પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.
અમરેલી જિલ્લાના ધારીના વેકરીયાપરા વિસ્તારમાં એક લગ્નના ફુલેકા દરમિયાન મારામારીની ઘટના બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા થઈ હતી અને બે વ્યક્તિ સામે ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઘટના રાત્રિના સમયે ડીજે સાથે વરરાજાનું ફુલેકું નીકળ્યું ત્યારે બની હતી. મનીષભાઈ જીણાભાઇ વાઘેલાના કાકાના દીકરા રમેશભાઈ ભગુભાઈ વાઘેલાના લગ્ન હતા. આ દરમિયાન આરોપી જયસુખ કિશોરભાઇ પરમાર અને અવનીશ કિશોરભાઈ પરમારે નાની ઉંમરના અલ્પેશભાઈ વાઘેલાને વગર વાંકે માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે મનીષભાઈ અલ્પેશભાઈને બચાવવા અને સમજાવવા ગયા, ત્યારે આરોપીઓને તે ગમ્યું ન હતું. તેમણે મનીષભાઈને જેમફાવે તેમ અપશબ્દો આપી, શરીર પર આડેધડ મૂંઢમાર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ધારી પોલીસ સ્ટેશનમાં મનીષભાઈ જીણાભાઇ વાઘેલાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે, જેમાં મહિલાઓ પણ ઉગ્ર બનેલી જોવા મળે છે.
તાપીના ઉચ્છલ તાલુકાના કુઇદાગામમાંથી એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. SOG પોલીસે કોઈ પણ મેડિકલ ડિગ્રી વગર એલોપેથિક પ્રેક્ટિસ કરતા સચિન પાટીલને રંગેહાથ પકડી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ₹34,032નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસ.ઓ.જી. શાખાના PI કે.જી. લીંબાચીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી કે, કુઇદાગામમાં સચિનભાઈ નગીનભાઈ પાટીલ નામનો શખ્સ લાયકાત વગર ક્લિનિક ચલાવી રહ્યો છે. બાતમી મુજબ, સચિન પાટીલ આસપાસના ગામના બીમાર દર્દીઓને એલોપેથિક દવાઓ આપી ગેરકાયદેસર સારવાર કરતો હતો. આ માહિતીના આધારે પોલીસે સ્થળ પર છાપો માર્યો હતો અને સચિન પાટીલને પ્રેક્ટિસ કરતા ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી પાસેથી જુદી-જુદી એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો મળી આવ્યા હતા. જેની કુલ કિંમત ₹34,032 આંકવામાં આવી છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 125 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના PSI એન.પી. ગરાસીયા, ASI અજયભાઈ દાદાભાઈ, ASI રાજેન્દ્ર યાદવરાવ, HC કમલેશભાઈ કૃષ્ણાભાઈ, HC શરદભાઈ સુરજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ બલીરામ અને અક્ષયકુમાર કાંતિલાલ જોડાયા હતા.
કહેવાય છે કે “પ્રેમ આંધળો હોય છે”, પણ જ્યારે આ પ્રેમ કાયદાની મર્યાદા ઓળંગે ત્યારે પોલીસની ત્રીજી આંખ તેને શોધી જ કાઢે છે. રાજકોટના વિરપુરથી અપહરણ થયેલા એક 17 વર્ષીય સગીર અને તેની 21 વર્ષીય પ્રેમિકાને સુરત રેલવે પોલીસની શી-ટીમ દ્વારા સતર્કતા દાખવી ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પાંગર્યો હતો પ્રેમ મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશની 21 વર્ષીય યુવતી મીના (નામ બદલ્યું છે) અને રાજકોટના 17 વર્ષીય સગીર રાજુ (નામ બદલ્યું છે) વચ્ચે દોઢ વર્ષ પહેલા ઈન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા થઈ હતી. આ મિત્રતા ધીરે-ધીરે પ્રેમમાં પરિણમી હતી. બંનેએ સાથે જીવવા-મરવાના કસમ ખાઈ ગત તા. 6 માર્ચના રોજ ઘરેથી ભાગી છૂટ્યા હતા અને સુરત રેલ્વે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા. શી-ટીમની સતર્કતા અને સફળતા સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.બી. મીઠાપરાના માર્ગદર્શન હેઠળ વુમન એ.એસ.આઈ. મનિષા મધુકર અને તેમની શી-ટીમ પ્લેટફોર્મ નં-1 પર પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન જનરલ વેઇટિંગ રૂમમાં એક યુવતી અને સગીર ગભરાયેલી હાલતમાં બેઠેલા જણાતા પોલીસને શંકા ગઈ હતી. પોલીસે જ્યારે તેમની પૂછપરછ કરી ત્યારે સત્ય બહાર આવ્યું હતું કે સગીર રાજુ ગુમ થતા તેના પરિવારે વિરપુર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાવ્યો હતો. લગ્ન અન્ય જગ્યાએ નક્કી કરી દેતા ભાગ્યા સુરત રેલ્વે પોલીસે તાત્કાલિક વિરપુર પોલીસનો સંપર્ક કરી વિગતો મેળવી હતી. યુવતી સગીરને પ્રેમ કરતી હતી અને તેના પરિવારને જાણ કરતા તેના લગ્ન અન્ય જગ્યાએ નક્કી કરી દેતા બંને ભાગી જવાનો નિર્ણય કર્યો હતો. પરિવાર સાથે મિલન અને પોલીસ કાર્યવાહી ગઈકાલે મોડી રાત્રે વિરપુર પોલીસના મહિલા એ.એસ.આઈ. નેહાબેન અને પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ સુરત આવી પહોંચ્યા હતા. સુરત રેલ્વે પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી સગીર બાળક અને મહિલાનો કબજો વિરપુર પોલીસને સોંપ્યો હતો. આમ, સુરત રેલ્વે પોલીસની સતર્કતાને કારણે એક સગીરને તેના પરિવાર સુધી પહોંચાડવામાં મોટી સફળતા મળી છે.
સુરતના હજીરા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી વર્તમાન સમયમાં વધતા જતા ટેકનિકલ સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને ગુજરાત મેરીટાઇમ બોર્ડ-સુરત (GMB) અને અદાણી હજીરા પોર્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે અદાણી હજીરા પોર્ટ-હજીરા ઉપર 'ડ્રોન હુમલા'ની સફળ મોકડ્રીલ યોજાઈ હતી. અદાણી હજીરા પોર્ટ ઉપર અજાણ્યા શંકાસ્પદ ડ્રોન દ્વારા લિક્વિડ જેટી અને લિક્વિડ ટર્મિનલ પર હવાઈ ડ્રોન હુમલો થયો હતો. કવાયતની શરૂઆત ઓન-સાઈટ ઈમરજન્સી તરીકે થઈ હતી. સતર્કતાના ભાગરૂપે કાર્ગો હેન્ડલિંગ, શિપ મૂવમેન્ટ અને ક્રેન ઓપરેશન તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાઈ હતી. પોર્ટ સિક્યુરિટી યુનિટ્સ, CISF અને મરીન પોલીસ 'હાઈ એલર્ટ' થઈ પોર્ટ પરના તમામ કર્મચારીઓને સુરક્ષિત સ્થાને ખસી જવા સૂચના આપી હતી. કેમિકલ કાર્ગો જહાજ અને તેની સાથે જોડાયેલા ટેન્ક ફાર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ડ્રોન હુમલાની કવાયત થઈ હતી. આ હુમલાને કારણે 'હેવી એરોમેટિક કેમિકલ' સાથે સંબંધિત જોખમી સ્થિતિ સર્જાઈ હતી. ઈમરજન્સી પ્રોટોકોલ ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ મ્યુચ્યુઅલ એઇડ ટીમોને જવાબદારી સોંપાઈ હતી, જેના દ્વારા સ્થાનિક અને જિલ્લા સ્તરે વિવિધ એજન્સીઓ વચ્ચેના તાલમેલ અને પ્રતિસાદની અસરકારકતાની ચકાસણી કરાઈ હતી. સમગ્ર મોકડ્રીલની પ્રક્રિયા અદાણી હજીરા પોર્ટ લિ.ના ચીફ ઓપરેટિંગ ઓફિસર પંકજ ઉકેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં સુરત જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપદ હેઠળના ડિસ્ટ્રિક્ટ ક્રાઈસિસ ગ્રુપ (DCG), લોકલ ક્રાઈસિસ ગ્રુપ (LCG), ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) અને મ્યુચ્યુઅલ એઇડ ગ્રુપ-હજીરાના માર્ગદર્શનમાં સુરત પોલીસ કમિશનર કચેરી, રાજ્ય સરકારના ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય નિયામક (DISH), ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને અન્ય જિલ્લા સ્તરીય આપત્તિ વ્યવસ્થાપનના અધિકારીઓ સહભાગી બન્યા હતા. મોકડ્રીલમાં હજીરા વિસ્તારની 'મ્યુચ્યુઅલ એઇડ' ઇન્ડસ્ટ્રીઝ જેવી કે શેલ, AM/NS, ક્રિભકો, NTPC, રિલાયન્સ, ONGC, GAIL અને હજીરા નોટિફાઇડ ઓથોરિટીના પ્રતિનિધિઓ સહભાગી બન્યા હતા. અદાણી હજીરા પોર્ટ લિ., સરકારી વિભાગો અને સ્થાનિક કંપનીઓએ સાથે મળીને આપત્તિ સામે લડવાની ક્ષમતા, સજ્જતા અને સામુદાયિક સુરક્ષાને મજબૂત બનાવવા અભ્યાસ કર્યો હતો. જે ઈમરજન્સી મેનેજમેન્ટ અને જવાબદાર પોર્ટ કામગીરીમાં મદદરૂપ બનશે. સમગ્ર મોકડ્રીલનું વિશ્લેષણ કરી સુરક્ષા પ્રોટોકોલમાં વધુ સુધારા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વૈશ્વિક અસરો હવે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના પૌવા ઉદ્યોગ પર પણ વર્તાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય કટોકટીને કારણે નવસારીથી ખાડી દેશોમાં થતી પૌવાની નિકાસમાં 10 થી 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. નિકાસ અટકી પડતા, સ્થાનિક મિલ સંચાલકો હવે આ વધારાના સ્ટોકને ભારતભરના અન્ય રાજ્યોમાં વેચવા માટે પ્રયાસ કરી રહ્યા છે. નવસારી દક્ષિણ ગુજરાતનું કૃષિ અને વેપારનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાંનો પૌવા ઉદ્યોગ રાજ્યની આગવી ઓળખ છે. અહીં અંદાજે 50 પૌવા મિલો કાર્યરત છે, જે વાર્ષિક 1,50,000 ટન પૌવાનું ઉત્પાદન કરે છે. આ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર આશરે ₹500 કરોડ છે, અને બાય-પ્રોડક્ટ્સ સાથે કુલ ₹1000 કરોડનો વેપાર થાય છે. આ ઉદ્યોગ હજારો લોકોને રોજગારી પૂરી પાડે છે. પ્રત્યેક મિલમાં સરેરાશ 30 લોકો સીધી રીતે જોડાયેલા છે, જ્યારે પરિવહન અને પેકેજિંગ જેવા ક્ષેત્રોમાં હજારો લોકો પરોક્ષ રીતે રોજગારી મેળવે છે. દુબઈ, મસ્કત અને સાઉદી અરેબિયા જેવા ખાડી દેશોમાં નવસારીના પૌવાની ભારે માંગ રહેતી હતી. જોકે, યુદ્ધની સ્થિતિને કારણે નિકાસ હાલમાં ઠપ થઈ ગઈ છે. મિલ સંચાલક ઓમપ્રકાશ અગ્રવાલના જણાવ્યા અનુસાર, અમે આ 15 ટકાના ઘટાડાને પહોંચી વળવા મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાં દલાલ-બ્રોકરો મારફતે વેચાણ વધારવા પ્રયત્ન કરી રહ્યા છીએ. અગ્રવાલે ઉમેર્યું કે ભારતમાં પૌવાનો વપરાશ વધી રહ્યો હોવાથી લાંબા ગાળે બહુ મોટી નુકસાનીની ભીતિ નથી.
વલસાડ તાલુકાના વાઘલધરા ગામે વીજપોલ પર કામ કરી રહેલા એક વીજ કર્મચારીનું બેક કરંટ લાગવાને કારણે કરુણ મોત નીપજ્યું છે. સોનવાડાના 38 વર્ષીય જતીનકુમાર ઠાકોરભાઈ પટેલ 10 ફૂટની ઊંચાઈએથી પટકાયા હતા, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના સોમવારે રાત્રે 8:35 વાગ્યાની આસપાસ વાઘલધરાના વારી ફળિયામાં બની હતી. જતીનકુમાર પી.એસ.સી. પોલ પર આશરે 10 ફૂટની ઊંચાઈએ ચડીને ડી.ઓ. જમ્પર બાંધવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન લાઈનમાં અચાનક ‘બેક કરંટ’ આવતા તેમને વીજળીનો જોરદાર ઝટકો લાગ્યો હતો. કરંટના આંચકાથી સંતુલન ગુમાવી જતીનભાઈ સીધા જમીન પર પટકાયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા તેમને તાત્કાલિક સારવાર અર્થે વલસાડની સ્પંદન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું. ફરજ પરના તબીબે ઈ.સી.જી. તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. જતીનકુમારના અવસાનના સમાચાર મળતા સોનવાડા ગામ અને તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તેમના લગ્ન વર્ષ 2024માં જ થયા હતા અને તેઓ એક બાળક તથા પત્નીને વિલાપ કરતા છોડી ગયા છે.
જામનગરમાં પરીણિતાને જૂના પ્રેમીએ ધમકી આપી:લગ્ન માટે દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી, ફરિયાદ
જામનગરમાં એક પરણિત મહિલાને તેના દસ વર્ષ જૂના પ્રેમીએ ઘરમાં ઘૂસી લગ્ન કરવા દબાણ કર્યું હતું. આરોપીએ લગ્ન નહીં કરે તો જાનથી મારી નાખવાની અને પોતે પણ આત્મહત્યા કરી લેવાની ધમકી આપી હતી. આ મામલે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. રણજીતસાગર રોડ પરની એક સોસાયટીમાં રહેતી પરણિત યુવતીએ કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ગામના જુનેદ જુસબ ખેરાણી સામે ફરિયાદ નોંધાવી છે. યુવતી પોતાના માતા-પિતાના ઘરે પતિ સાથે આવી હતી ત્યારે આ ઘટના બની હતી. પોલીસ ફરિયાદ મુજબ, આરોપી જુનેદ અને ફરિયાદી યુવતી દસ વર્ષ પહેલા પ્રેમ સંબંધમાં હતા. જોકે, યુવતીએ કચ્છના આદિપુરના યુવાન સાથે લગ્ન કરી લીધા હતા અને હાલ તેમને આઠ વર્ષનું એક સંતાન પણ છે. તે પોતાના પતિ અને બાળક સાથે કચ્છમાં રહે છે. ગઈકાલે યુવતી પોતાના માતા-પિતાના ઘરે જામનગર આવી હતી. તે સમયે આરોપી જુનેદ ઘરમાં ઘૂસી આવ્યો હતો. તેણે યુવતીનો હાથ પકડી પોતાની સાથે લગ્ન કરવા દબાણ કર્યું અને ધમકી આપી કે જો તે લગ્ન નહીં કરે તો તેને મારી નાખશે અને પોતે પણ આપઘાત કરી લેશે. આ બનાવ અંગે સિટી એ. ડિવિઝનના પીએસઆઇ એલ. બી. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે, જેમાં રાજકોટ, અમદાવાદ, ડીસા અને કંડલા સહિતના મુખ્ય શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર કરી ગયું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 17 જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી 3 દિવસ સુધી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતા 7 ડિગ્રી જેટલું ઊંચું નોંધાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તકેદારી રાખવાની સૂચના અપાઈ છે. જોકે, દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન નીચું રહેશે, પરંતુ ભેજને કારણે અસહ્ય બફારો અનુભવાશે. આગામી ત્રણ દિવસના પ્રકોપ બાદ ગરમીમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થતા લોકોને આંશિક રાહત મળવાની શક્યતા છે. રાજકોટ અને કંડલામાં આજે સૌથી વધુ ગરમી નોંધાય તેવી શક્યતાIMD અને હવામાન વિભાગના રિપોર્ટ મુજબ, મોટાભાગના શહેરોમાં તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી સેલ્સિયસથી 7 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું નોંધાઈ શકે છે. રાજકોટ અને કંડલામાં આજે સૌથી વધુ ગરમી નોંધાઈ શકે છે, જ્યાં પારો 41.5 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે દ્વારકા, ઓખા અને વેરાવળમાં તાપમાન પ્રમાણમાં નીચું રહેશે, પરંતુ ભેજને કારણે બફારો અનુભવાઈ શકે છે. 17 જિલ્લામાં આજે હિટવેવને લઈ એલર્ટઅમદાવાદમાં પણ આજે કાળઝાળ ગરમીની આગાહી છે, જે સામાન્ય કરતા 7 ડિગ્રી જેટલી વધારે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, ભરૂચ, સુરત અને કચ્છમાં હિટવેવને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશેહવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. અમદાવાદ, રાજકોટ, અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં તાપમાન 41થી 42 સુધી પહોંચી શકે છે. ત્યારબાદ પારો 2થી 3 ડિગ્રી નીચે જતા ગરમીમાં થોડી રાહત મળવાની શક્યતા છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર ગયું છે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. અમદાવાદમાં આકાશ ખુલ્લું રહેશે અને સખત તડકો રહેવાની શક્યતા છે.
પાટડી હોમગાર્ડ જવાનના અવસાન બાદ પરિવારને સહાય:હોમગાર્ડઝ કલ્યાણનિધિ ફંડમાંથી ₹1.55 લાખનો ચેક અપાયો
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી હોમગાર્ડ યુનિટના સ્વર્ગસ્થ જવાન દિનેશકુમાર રૂપસિંહ પરમારના વારસદારને ₹1,55,000ની આર્થિક સહાયનો ચેક એનાયત કરવામાં આવ્યો છે. આ સહાય હોમગાર્ડઝ કલ્યાણનિધિ ફંડમાંથી મંજૂર કરવામાં આવી હતી. દિનેશકુમાર પરમાર પાટડી યુનિટમાં 12 ઓગસ્ટ, 2008થી હોમગાર્ડઝ સભ્ય તરીકે 17 વર્ષથી ફરજ બજાવતા હતા. તેમનું અવસાન 23 નવેમ્બર, 2025ના રોજ થયું હતું. આ ચેક સુરેન્દ્રનગર જિલ્લા કમાન્ડન્ટ યોગેશભાઈ પંડ્યા, જિલ્લા ઇન્સ્પેક્ટર ચંદ્રસિંહ ડોડીયા, જિલ્લા હેડ ક્લાર્ક મહેન્દ્રસિંહ કાંછેલા, જિલ્લા સ્ટાફ ઓફિસર પ્રદીપસિંહ રાણા અને પાટડી ઓફિસર કમાન્ડિંગ મોહનભાઈ એસ. કુડેચાના હસ્તે વારસદારને સુપરત કરવામાં આવ્યો હતો. જિલ્લા કમાન્ડન્ટ યોગેશભાઈ પંડ્યાએ હોમગાર્ડ જવાનના અવસાન બાદ તેમના પરિવારજનોને કલ્યાણ નિધિ ફંડમાંથી સહાય મળી રહે તે માટે જરૂરી કાર્યવાહી કરી હતી.
હિંમતનગરમાં શીતળા સાતમની ઉજવણી:મહિલાઓએ હરસિદ્ધિ મંદિરે શીતળા માતાજીની પૂજા કરી
હિંમતનગરમાં ફાગણ વદ સાતમ નિમિત્તે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી. રાજસ્થાની સમાજની મહિલાઓએ બે દિવસ શીતળા માતાજીની પૂજા અર્ચના કરી હતી. શહેરના હરસિદ્ધિ માતાજી મંદિર, પોલોગ્રાઉન્ડ સ્થિત પંચદેવ મંદિર સહિતના વિવિધ મંદિરોમાં મંગળવારે મહિલાઓએ શીતળા માતાજીની પૂજા કરી. ખાસ કરીને હરસિદ્ધિ માતાજી મંદિરે મારવાડી સાતમ નિમિત્તે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. મહિલાઓએ શીતળા માતાજીની પૂજા અર્ચના કરી, પ્રસાદ અર્પણ કર્યો અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી હતી. પૂજા વિધિ બાદ મંદિર પરિસરમાં મહિલાઓએ વિધિ-વિધાન સાથે શીતળા માતાજીની વાર્તાનું શ્રવણ પણ કર્યું હતું.
લગ્નનો અવસર હોય અને સંગીતની સુરાવલીઓ ન રેલાય એવું તો કેમ બને, પરંતુ ક્યારેક આ ઉત્સાહ કાયદાની મર્યાદા વટાવી જાય ત્યારે લગ્નના રંગમાં ભંગ જેવી સ્થિતિ સર્જાય છે. આવું જ કંઈક પાટનગરમાં બન્યું છે.જ્યાં દીકરીના લગ્નની પૂર્વસંધ્યાએ સંગીતના તાલે ઝૂમી રહેલા પરિવારની ખુશીઓ વચ્ચે અચાનક પોલીસની એન્ટ્રી થઈ અને આયોજક પિતાએ પોલીસ સ્ટેશનના પગથિયાં ચઢવાનો વારો આવ્યો હતો. ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનના સ્ટાફે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન મળેલા મેસેજના આધારે પથિકાશ્રમ પાસે આવેલી એક જાણીતી હોટલમાં મંજૂરી વિના અને નિયત સમય મર્યાદા પછી પણ લાઉડ સ્પીકર પર ઊંચા અવાજે દીકરીના લગ્નના સંગીતની સુરાવલીઓ રેલાવનાર પિતા વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી લગ્નના રંગમાં ભંગ પાડ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળ્યોગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનના એએસઆઈ સિદ્ધરાજભાઈ જગદીશભાઈ અને તેમની ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન રાત્રિના કંટ્રોલ રૂમથી મેસેજ મળ્યો કે પથિકાશ્રમ નજીક આવેલી નીલાયા હોટલમાં મોટેથી લાઉડ સ્પીકર વાગી રહ્યા છે. હોટલ પર પોલીસ પહોંચીજેના પગલે પોલીસ તાબડતોડ દોડી જઈ હોટલ પર ત્રાટકી હતી. ત્યારે ત્યાં લગ્ન પ્રસંગના ગીતોની ધૂમ મચી હતી અને મહેમાનો સંગીતનો આનંદ માણી રહ્યા હતા. જોકે લગ્નના માહોલમાં મગ્ન પરિવારને કદાચ અંદાજ પણ નહીં હોય કે તેમની આ ખુશી કાયદાકીય રીતે ઘોંઘાટ ગણાઈ રહી છે. અમદાવાદના શખ્સે દીકરીના લગ્ન હોવાથી સંગીત સંધ્યાનું આયોજન કર્યું હતુંબાદમાં પોલીસે તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે આ સંગીત સંધ્યાનું આયોજન અમદાવાદના સાબરમતી વિસ્તારના રહેવાસી મૂલચંદભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. મૂલચંદભાઈએ પોલીસને જણાવ્યું હતું કે, તેમની દીકરીના લગ્ન આવતીકાલે હોવાથી આજે પરિવાર અને સ્નેહીજનો સાથે સંગીતનો કાર્યક્રમ રાખ્યો છે. સૂચના બાદ પણ સંગીત ચાલું રાખતા કાર્યવાહીજોકે પોલીસે રાત્રે 10 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ હોવાનું બ્રહ્મજ્ઞાન આપી કલેક્ટર કે સક્ષમ અધિકારીની પરવાનગી માગી હતી. જોકે મૂલચંદભાઈ પાસે આવું કોઈ પ્રમાણપત્ર નહોતું. જેથી પોલીસે લાઉડ સ્પીકર બંધ કરવા સૂચના આપી હતી. તેમ છતાં લગ્નના રંગમાં ઉંચા અવાજે સંગીત ચાલુ રાખતા પોલીસે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ મૂલચંદભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જોકે પથિકાશ્રમ સર્કલ આસપાસ પણ આડેધડ ઊભા રહી જાહેરનામાનો ભંગ કરતા રિક્ષા ચાલકો સામે પણ આજ પ્રકારે કાર્યવાહી કયારે થાય એ જોવું રહ્યું.
રાજ્યમાં ગેસ પુરવઠાને લઈને ઉદ્યોગોમાં મર્યાદા મૂકવામાં આવ્યા બાદ રાંધણ ગેસ અંગે લોકોમાં ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી છે કે સામાન્ય નાગરિકોને મળતા રાંધણ ગેસના પુરવઠામાં કોઈ તકલીફ ન થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર આ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. ‘ઉદ્યોગોમાં વપરાતા ગેસ પર 50 ટકા સુધીનો કાપ’ઊર્જા મંત્રીના જણાવ્યા મુજબ હાલ ઉદ્યોગોમાં વપરાતા ગેસ પર 50 ટકા સુધીનો કાપ મુકવામાં આવ્યો છે, જ્યારે ફર્ટિલાઈઝર ક્ષેત્રમાં 40 ટકા સુધી ગેસ સપ્લાય ઘટાડવામાં આવ્યો છે. તેમ છતાં ઘરગથ્થુ ઉપયોગ માટેના ગેસના પુરવઠા પર કોઈ અસર ન પડે તે સરકારની પ્રાથમિકતા છે. પુરવઠો જળવાઈ રહે તે માટે સતત પ્રયાસોઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારનું મુખ્ય ધ્યાન એ વાત પર છે કે રાજ્યના દરેક ઘરમાં ચૂલો સળગતો રહે અને લોકોને રાંધણ ગેસ માટે કોઈ મુશ્કેલી ન પડે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે કોમર્શિયલ ગેસ પર ખાસ કોઈ કાપ મૂકાયો નથી અને પુરવઠો જળવાઈ રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ભરૂચના રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મહાદેવ ગ્રુપ દ્વારા આયોજિત ત્રણ દિવસીય હિન્દુ એકતા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ – સીઝન 6 સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. આ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લા તેમજ જિલ્લા બહારની કુલ 32 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ શિવાર્થ ઇલેવન અને એસ.એન. ઇલેવન (ભુવા) વચ્ચે રમાઈ હતી. એક રોમાંચક મુકાબલા બાદ એસ.એન. ઇલેવન ભુવાએ વિજય મેળવી ચેમ્પિયનશીપ જીતી હતી, જ્યારે શિવાર્થ ઇલેવન રનર-અપ રહી હતી. ટુર્નામેન્ટના અંતિમ દિવસે ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં શંકર સેવા ટ્રસ્ટના શંકરભાઈ, વોર્ડ નં. 11ના નગરસેવક ચિરાગ ભટ્ટ, પાયલ ફૂટવેરના જયભાઈ, તેમજ નવા નિયુક્ત યુવા મોર્ચાના જિલ્લા મહામંત્રી પ્રજ્ઞેશભાઈ અને સાગરભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોના હસ્તે વિજેતા અને રનર-અપ ટીમોને ટ્રોફી અને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટનું સફળ આયોજન પ્રણવસિંહ ચૌહાણ, કશ્યપ મહેતા, ઓમ પંડ્યા, અક્ષય બેરાવાલા, વિનિત ઠાકોર, જાદવ મેઘલ અને હર્ષ સોલંકી સહિત મહાદેવ ગ્રુપના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરમાં ઘરેથી આઈસ્ક્રીમ ખાવા નીકળેલા ધો.12માં અભ્યાસ કરતા 16 વર્ષના સગીરે પૂરઝડપે કાર ચલાવીને 3થી 4 વાહનોને અડફેટે લીધા હતા. 15 મહિનાના બાળક સાથે બાઈક પર જઈ રહેલાં માતા-પિતા, લગ્ન પ્રસંગથી ઘરે જતા માતા-પુત્રની એક્ટિવા સહિત 3થી 4 વાહનોને અડફેટે લીધા હતા. કાર અમિતનગર બ્રિજ નીચે ટેમ્પો સાથે અથડાઈને અટકી ગઈ હતી. આ ઘટનામાં બાળક સહિત 4 લોકોને ઈજાઓ પહોંચી હતી. જેથી વિફરેલા ટોળાએ 16 વર્ષીય સગીરને મેથીપાક ચખાડીને તેની કારમાં તોડફોડ કરી હતી. તે દરમિયાન પોલીસ સ્થળે પહોંચી સગીરને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. સગીરે પૂરઝડપે કાર હંકારી 3થી 4 વાહનોને અડફેટે લીધાવડોદરા શહેરના અમિત નગર બ્રિજ પાસે મોડી રાત્રે અકસ્માતની આ ઘટના બની હતી. જેમાં પિતાની કાર લઈને બહાર નીકળેલા પુત્રએ ત્રણથી ચાર વાહનોને અડફેટે લીધા હતા. જેમાં 15 મહિનાના બાળક સહિત 4 લોકોને ઈજાઓ પહોંચી હતી. સગીરે અકસ્માત સર્જતા અમિત નગર બ્રિજ પાસે ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. અને લોકોમાં કારચાલક સામે ભારે રોષ જોવા મળ્યો હતો. જેને પગલે લોકોએ 16 વર્ષના સગીરને માર માર્યો હતો આ સાથે જ કારમાં પણ તોડફોડ કરી હતી. માતાને કહ્યાં વગર ઘરેથી કાર લઈને નીકળી ગયો હતોઘટના સમયે હરણી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ બાઈક લઈ સ્થળ પરથી પસાર થતા હતા. આ દરમિયાન અકસ્માત જોઈ તે સ્થળ પર પહોંચ્યા હતા. જોકે વિફરેલા ટોળાએ તેને પણ ધક્કે ચડાવીને બાઈકની તોડફોડ કરી હતી. ઘટના બાદ પોલીસ અકસ્માત સર્જનારા સગીરને હરણી પોલીસ મથકે લઈ ગયા હતા. પોલીસની પૂછપરછમાં યુવકના પિતા મુંબઈ ગયા હોવાથી તે કાર લઈને મોટનાથ મહાદેવ રોડ પર આવેલા ઘરેથી આઈસ્ક્રિમ ખાવા નિકળી ગયો હતો. પોલીસે તેના પરિવારજનોની પણ પુછપરછ હાથ ધરી છે. સગીર પોતાની માતાને પૂછ્યા વગર ગાડી લઈને ઘરેથી નીકળી ગયો હતો. પોલીસ સ્ટેશનમાં હાજર લોકો સામે કગરતો જોવા મળ્યોસગીરને જ્યારે પોલીસ સ્ટેશન લઈને આવ્યા ત્યારે તે બે કાન પકડીને માફી માંગતો જોવા મળ્યો હતો. આ સમયે એક વ્યક્તિએ કહ્યું હતું કે, એક જ લાફો મારીશ. સગીર આ સમયે ત્યાં હાજર લોકોને કરગરતો જોવા મળ્યો હતો. જોકે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પૂરઝડપે આવી અમારા વાહન સાથે અમને ફંગોળ્યાભોગ બનનાર મહિલા હિના પટેલના જણાવ્યા પ્રમાણે તેઓ લગ્ન પ્રસંગ પૂરો કરી શાંતિકુંજ સોસાયટીમાં ઘરે જઈ રહ્યા હતા. ત્યારે પૂરઝડપે આવેલી કારે એક્ટિવાને અડફેટે લીધી હતી. જો કે, સદનસીબે અમે બચી ગયા હતા. જ્યારે ભોગ બનનાર ઉમંગ શાહના જણાવ્યા પ્રમાણે તેઓ તેમના ભાઈના ઘરેથી બાઈક પર નિકળ્યા હતા. તેમની સાથે તેમનું 15 મહિનાનું બાળક અને પત્ની હતાં. અમિત નગર સર્કલ પહેલાં કાકાની પાવભાજી રેસ્ટોરાં પાસે કારે બાઈકને અથડાવી હતી જેમાં તેઓ પટકાયા હતાં અને ઇજાગ્રસ્ત થયા હતા. કોઈ પીડિત પોલીસ ફરિયાદ આપવા તૈયાર નથીહરણી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.વી.વસાવાએ જણાવ્યું હતું કે, સગીરે વાહન ચલાવીને અકસ્માત કર્યો હતો. આ મામલે અમે તપાસ કરી રહ્યા છે. કોઈ પીડિત પોલીસ ફરિયાદ આપવા તૈયાર નથી. જોકે અમે આ મામલે કાર્યવાહી કરી રહ્યા છીએ.
રાણીપના બલોલનગરમાં ગઇકાલે(9 માર્ચ) રાત્રે સોસાયટીમાં રહેતા એક જ સમાજના બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી જે બાદ મામલો ઉગ્ર બનતા બંને પક્ષે સામસામે એકબીજા પર પથ્થર ફેંક્યા હતા. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે 6 લોકોની અટકાયત કરી છે. એક જ સમાજના બે જૂથ વચ્ચે બબાલબલોલનગરમાં વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા દંતાણી સમાજના બે જૂથ વચ્ચે રાતના સમયે પથ્થરમારો થયો હતો. સોસાયટીમાં રહેતા એક પરિવારના ત્યાં બહારથી કેટલાક લોકો આવ્યા હતા જેને લઈને બીજા પરિવારે વિરોધ કર્યો હતો. જે બાદ બંને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બન્યો હતો જેમાં બંને પરિવારના લોકોએ મારામારી કરી હતી. સોસાયટીના ગેટ પાસે એકબીજા પર પથ્થર ફેંક્યાબંને પરિવારે સોસાયટીના ગેટ પાસે સામસામે પથ્થરમારો પણ કર્યો હતો. પરિવારની મહિલાઓએ પણ એકબીજા પર પથ્થર ફેંક્યા હતા.બનાવની જાણ થતા રાણીપ પોલીસની 4થી 5 ગાડી સ્થળ પર પહોચી હતી. પોલીસે મામલો થાળે પાડી સ્થળ પરથી જ કેટલાક લોકોની અટકાયત કરી હતી. તમામ લોકોને રાણીપ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. 6 લોકોની અટકાયતરાણીપ પોલીસ સ્ટેશનના પીઆઇ કેતન વ્યાસે જણાવ્યું હતું કે બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. એક જ સમાજના લોકો વચ્ચે ઝઘડો થતાં પથ્થરમારો થયો હતો. કોઈને ઇજા પહોંચી નથી. સ્થળ પરથી જ 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ મામલે હાલ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લાની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજોના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ દ્વારા વિદ્યાર્થીઓને રોજગારની તકો પૂરી પાડવામાં આવશે. આ મેગા પ્લેસમેન્ટ કેમ્પ 18 માર્ચ, 2026, બુધવારના રોજ કે.ડી. પોલીટેકનિક, પાટણ ખાતે યોજાશે. સવારે 9:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા ચાલશે. પાટણ જિલ્લાની કુલ 10 સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજોના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ આ કેમ્પમાં ભાગ લઈ શકશે. 40 થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓ ભાગ લેશે અને અંદાજે 350 જેટલા વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં સામેલ થશે. ઇન્ટરવ્યૂ કે.ડી. પોલીટેકનિકના વિવિધ વિભાગોમાં યોજાશે. આ મેગા પ્લેસમેન્ટ કેમ્પનું સંકલન પાટણ જિલ્લા ઝોન-2, નોડ-1ના નોડલ ઓફિસર પ્રોફેસર એચ.સી. પરમાર અને કે.ડી. પોલીટેકનિક, પાટણના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર પ્રોફેસર ડી.કે. રાવલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં રોજગારીની તકો પૂરી પાડવાનો છે, જેથી તેઓ તેમની કારકિર્દી માટે સારો અવસર મેળવી શકે.
સુરખેડા પાસે ST બસ-ટ્રેલર વચ્ચે અકસ્માત:પાઇપ ભરેલા ટ્રેલર સાથે ST બસ અથડાઈ, કોઈ જાનહાનિ નહીં
છોટા ઉદેપુરના સુરખેડા ગામ પાસે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અહીં એસટી બસ અને પાઇપ ભરેલા ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ અકસ્માત આજે 10 માર્ચે વહેલી સવારે 5.30 વાગ્યે થયો હતો. એસટી બસ છેવાડાના ફેરકુવા ગામથી છોટા ઉદેપુર પરત આવી રહી હતી. સુરખેડા પાસેથી પસાર થતી વખતે અચાનક એક વ્યક્તિ બસની સામે આવી ગઈ હતી. તેને બચાવવા માટે એસટી બસના ડ્રાઈવરે બસને રોંગ સાઈડ તરફ લીધી હતી. આ જ સમયે સામેથી મોટા પાઈપ ભરીને આવી રહેલું એક ટ્રેલર પણ બસને બચાવવા માટે રોંગ સાઈડ પર ગયું હતું. જોકે, એસટી બસ ટ્રેલરના પાછળના ભાગે પાઈપ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં બસને ભારે નુકસાન થયું હતું. બસમાં સવાર મુસાફરો, ડ્રાઈવર અને કંડક્ટરને કોઈ ઈજા થઈ ન હતી. આ ઘટનાને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો. રંગપુર પોલીસ અને છોટા ઉદેપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને વાહનોને સાઈડ પર ખસેડીને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.
ગુજરાત સરકારે રાજ્યની 71 નગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક કરવાનો આદેશ કર્યો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જારી કરાયેલા આ આદેશમાં પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાનો પણ સમાવેશ થાય છે. આ બંને નગરપાલિકાઓમાં જે-તે વિસ્તારના પ્રાંત અધિકારીઓને વહીવટદાર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 71 નગરપાલિકાઓની પાંચ વર્ષની મુદત પૂર્ણ ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963ની કલમ-8 હેઠળ નગરપાલિકાઓની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતી હોવાથી આ નિર્ણય લેવાયો છે. આગામી સામાન્ય ચૂંટણીઓ બાદ નવી કારોબારી સમિતિની રચના ન થાય ત્યાં સુધી વહીવટી કામગીરી સુચારુ રાખવા માટે વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમની જોગવાઈઓ મુજબ, નગરપાલિકાની પ્રથમ બેઠકથી પાંચ વર્ષની મુદત નિર્ધારિત હોય છે. રાજ્યની 71 નગરપાલિકાઓની મુદત માર્ચ 2026માં પૂર્ણ થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન નગરપાલિકાના રોજિંદા કાર્યો અને આવશ્યક સેવાઓ પ્રભાવિત ન થાય તે સુનિશ્ચિત કરવાના હેતુથી વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. પાટણ, સિદ્ધપુર નગરપાલિકામાં પ્રાંત અધિકારી વહીવટદાર પાટણ અને સિદ્ધપુર નગરપાલિકામાં નિમાયેલા પ્રાંત અધિકારીઓ, વહીવટદાર તરીકે, ચૂંટાયેલી પાંખ દ્વારા અગાઉ મંજૂર કરાયેલા વિકાસલક્ષી કામોના વર્ક ઓર્ડર આપી શકશે. આ ઉપરાંત, પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ, અગ્નિશમન અને સફાઈના સાધનો કે વાહનોના સમારકામ માટે નિયમાનુસાર ખર્ચ કરવાની મંજૂરી પણ તેમને આપવામાં આવી છે. વહીવટદારો કોઈપણ નીતિ વિષયક નિર્ણયો લઈ શકશે નહીંસરકારના આદેશ અનુસાર, વહીવટદારો તેમના કાર્યકાળ દરમિયાન કોઈપણ નીતિ વિષયક નિર્ણયો લઈ શકશે નહીં. તેમની મુખ્ય જવાબદારી અગાઉની કારોબારી સમિતિ દ્વારા પસંદ કરાયેલા કામો અને નગરપાલિકાની અનિવાર્ય સેવાઓ જાળવી રાખવાની રહેશે. આ નિમણૂક આગામી ચૂંટણીઓ બાદ નવી બોડી અસ્તિત્વમાં આવે ત્યાં સુધી અમલમાં રહેશે. રાજ્યપાલના હુકમથી પ્રસિદ્ધ કરાયેલા આ આદેશ સાથે જ પાટણ અને સિદ્ધપુર સહિતની નગરપાલિકાઓના વહીવટી તંત્રમાં ફેરફાર લાગુ કરવામાં આવ્યા છે.
અમદાવાદથી ગોરખપુર જતી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરો માટે એક મહત્વના સમાચાર છે. ઉત્તર પૂર્વ રેલવેના ગોરખપુર કેન્ટ–ભટની સેક્શનમાં દેવરિયા સદર અને નૂનખાર સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ કમિશનિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ નોન-ઇન્ટરલોકિંગ કામના કારણે અમદાવાદ–ગોરખપુર એક્સપ્રેસને આંશિક રીતે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન શોર્ટ ટર્મિનેટ અને ઓરિજિનેટની વિગતરેલવે પ્રશાસન દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, 10 March 2026 ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 19489 અમદાવાદ–ગોરખપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત સ્ટેશન ગોરખપુરને બદલે ભટની સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. એટલે કે, આ ટ્રેન ભટની અને ગોરખપુર વચ્ચે દોડશે નહીં. તેવી જ રીતે, વળતી મુસાફરીમાં 11 March 2026 ના રોજ ટ્રેન નંબર 19490 ગોરખપુર–અમદાવાદ એક્સપ્રેસ ગોરખપુરને બદલે ભટની સ્ટેશનથી ઉપડશે (ઓરિજિનેટ થશે). આ ટ્રેન ગોરખપુર અને ભટની વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ઓનલાઇન માહિતી ઉપલબ્ધમુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ટ્રેનના સ્ટોપેજ, સમય અને કોચની ગોઠવણી અંગેની વધુ વિગતવાર માહિતી માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર સંપર્ક કરે. મુસાફરોએ તેમની મુસાફરીનું આયોજન આ ફેરફારને ધ્યાનમાં રાખીને કરવા સૂચના અપાઈ છે.
બગવદર પોલીસે જુગાર રમતા 5 ઝડપ્યા, 2 ફરાર:પોરબંદરમાં કુલ 7 સામે ગુનો દાખલ, રોકડ જપ્ત
પોરબંદર જિલ્લાના બગવદર ખાતે પોલીસે જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. આ દરોડા દરમિયાન બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જેથી કુલ સાત વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી ₹16,350 /- રોકડા જપ્ત કર્યા છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાંઝડિયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ, જિલ્લામાં દારૂ અને જુગારની બદી નાબૂદ કરવા વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ અને પો.સબ.ઇન્સ. આર.જી.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ બગવદર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે, પોલીસે આંબારામા ગામના ચોકની બાજુમાં આવેલી ગલીમાં દરોડો પાડ્યો હતો. આ સ્થળે કેટલાક શખ્સો જાહેરમાં પૈસા પાના વડે 'રોન પોલીસ' નામનો જુગાર રમી રહ્યા હતા, જેમને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં હમીર જીવાભાઈ પાંડાવદરા (ઉં.વ.50), જેઠા પરબતભાઈ ઓડેદરા (ઉં.વ.50), મુરુ રાણાભાઈ કેશવાલા (ઉં.વ.50), નૌઘણ બાબુભાઈ ઓડેદરા (ઉં.વ. 28) અને ભગત ઉર્ફે પરબત જીવાભાઈ ઓડેદરા (ઉં.વ.59) નો સમાવેશ થાય છે. આ તમામ આંબારામા અથવા હાથીયાણી ગામની દળ સીમના રહેવાસી છે. દરોડા દરમિયાન રાણા લખમણભાઈ ઓડેદરા અને રાણા રાજશીભાઈ મોઢવાડીયા (બંને રહે. આંબારામા) નામના બે શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે આ તમામ સાત આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ જિલ્લાની વિરમગામ, ધોળકા અને બારેજા નગરપાલિકાઓમાં વહીવટદારનું શાસન અમલમાં આવ્યું છે. આ નિર્ણય ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થતાં લેવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા નિર્ણય મુજબ, વિરમગામ નગરપાલિકાના વહીવટદાર તરીકે વિરમગામ પ્રાંત અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. ધોળકા નગરપાલિકાની જવાબદારી ધોળકા પ્રાંત અધિકારી સંભાળશે. જ્યારે બારેજા નગરપાલિકાના વહીવટદાર તરીકે ધોળકા મામલતદારને આગામી ચૂંટણી સુધીનું સૂકાન સોંપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાવાની છે. તે પૂર્વે અમદાવાદ જિલ્લાની આ ત્રણ નગરપાલિકાઓમાં વહીવટદારનું શાસન લાગુ કરાયું છે.
બોટાદ જિલ્લાની નિધિ કીર્તિ કુંવરાણી (વિરમગામી) ને ગાંધીનગર ખાતે 'વુમન્સ અચિવર-૨૦૨૬' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૬ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ગુજરાત રાજ્યની કુલ ૩૨ મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓ બદલ સન્માનિત કરાઈ હતી. નિધિ કુંવરાણીએ શામળદાસ આર્ટસ કોલેજમાંથી સ્નાતક અને ભાવનગરની ડિપાર્ટમેન્ટ ઓફ ઈંગ્લીશમાંથી અંગ્રેજી વિષયમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી છે. હાલમાં તેઓ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યમાં પીએચ.ડી.ના શોધાર્થી છે. તેમની ત્રિભાષીય (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી) રચનાઓ દેશ-વિદેશના સાહિત્ય પુસ્તકો, મેગેઝિનો અને વર્તમાનપત્રોમાં પ્રકાશિત થઈ ચૂકી છે. તેમના ત્રિભાષીય સાહિત્યિક યોગદાન બદલ તેમને અગાઉ પણ દેશ-વિદેશની સંસ્થાઓ દ્વારા પ્રશંસાપત્રો અને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન સમારોહ ગણપતિ ફાઉન્ડેશન ગાંધીનગર, ડોક્ટર દેસાઈ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને સપોર્ટીવો ક્લબ-તમન્ના ફિલ્મ્સ દ્વારા 'નારી સશક્તિકરણ અને નારી સન્માન' ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન મુખ્યત્વે મિલાપભાઈ તાતરિયા, ડોક્ટર દેસાઈ અને સપોર્ટીવો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા લોકડાયરા કલાકાર ભીખુભાઈએ પણ હાજરી આપી બહેનો અને દીકરીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આરોપી ઝડપાયો:નેતાને મરવા મજબુર કરનાર 18 પૈકી એક આરોપી પકડાયો
ગાંધીધામ શહેર ભાજપના યુવા મંત્રી દિપેશ મિનાક્ષીબેન ભટ્ટે ગત 5 માર્ચના રોજ રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાની ચકચારી ઘટનામાં સ્યુસાઇડ નોટ, મરતા પહેલાં મૃતકે બનાવેલા વીડીયો અને મૃતકના પત્નીએ નોંધાવેલી ફરિયાદના આધારે 14 વ્યાજખોર સહિત 18 સામે ફોજદારી નોંધાવાયા બાદ પોલીસે આ ચકચારી કેસમાં લોન અપાવી કમિશનની માગણી કરતા પ્રકાશ મોદીની અટક કરી લીધી છે. ડીવાયએસપી મુકેશ ચૌધરીએ વિગતો આપી હતી કે, મૃતકની પત્ની દીપાબેન દિપેશ ત્રિપાઠીએ આદિપુર પોલીસ મથકે 18 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વ્યાજના વિષચક્રમાં ફસાવી મરવા મજબુર કરાયા હોવાું જણાવી સ્યુસાઇડ નોટ તેમજ મરતા પહેલા દિપેશે બનાવેલા વીડીયો પોલીસને સોંપ્યા બાદ 18 સામે ગુનો દાખલ કરી આ કેસમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા જે દરમિયાન લોન કરાવી આપીને અડધી રકમ પોતે રાખી આર્થિક સંકડામણમાં વ્યથા આપનાર પ્રકાશ મોદીને પોલીસે પકડી લીધો હતો, જો કે હજી આ ચકચારી આત્મહત્યાના બનાવમાં અન્ય 17 લોકોને પકડવાના બાકી છે. ડીવાયએસપી ચૌધરીએ જણાવ્યું હતું કે, તપાસ ચાલુ છે.
ટોલ કંપની વિરૂદ્ધ ભભૂકી ઉઠ્યો રોષ:સુરજબારી ટોલનાકાની મનમાની, 15 ગામ નારાજ
કચ્છના પ્રવેશદ્વાર સમાન સુરજબારી ટોલપ્લાઝા ખાતે ટોલ કંપનીની મનમાની સામે સ્થાનિક લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. વર્ષો બાદ ફરી એકવાર ટોલનાકાના પ્રશ્ને આસપાસના 15 જેટલા ગામોના લોકો અને સરપંચોએ એકજૂથ થઈને ટોલ કંપનીના અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી છે. સ્થાનિકોની મુખ્ય માંગ છે કે સામખિયાળી ટોલનાકાની તર્જ પર સુરજબારી ટોલ પર પણ સ્થાનિકોને એક રૂપિયાની ટ્રીપ વાળો પાસ બનાવી આપવામાં આવે. આ 15 ગામોના લોકોને આરોગ્યલક્ષી સેવાઓ, ખાસ કરીને મોરબીની હોસ્પિટલો તથા અન્ય રોજિંદા કામકાજ અર્થે વારંવાર પોતાના ખાનગી વાહનો લઈને હાઇવે પરથી પસાર થવું પડે છે. આ અંગે જંગી, વાંઢિયા, ગોડપર, મોડપર, લઘધીરગઢ, નવા કટારિયા, જુના કટારિયા, શિકારપુર, નવાગામ, નારણસરી, સૂરજબારી અને જસાપર સહિતના ગામોના લોકોએ ટોલનાકે થતી ખોટી કનડગત સામે વિરોધ નોંધાવ્યો છે. ટોલ કંપની દ્વારા માસિક 350 રૂપિયાનો પાસ ઇસ્યુ કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ 15 ગામના લોકોએ તેનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે જો ટોલ કંપની પોતાનું જક્કી વલણ છોડીને સ્થાનિકોને સામખિયાળીની જેમ રાહતદરે પાસ નહીં આપે, તો આવનારા સમયમાં હજારોની સંખ્યામાં લોકો હાઇવે પર ઉતરી આવશે. આ રજૂઆત વેળાએ વાંઢિયાના સરપંચ કૃષ્ણદેવસિંહજી જાડેજા, શિકારપુરના સરપંચ દેસરાભાઈ, સૂરજબારીના સરપંચ સલીમભાઇ જેડા, જંગીના સરપંચ ગુલમામદ રાઉમા, નવા કટારિયાના સરપંચ બિહારીદાસ સાધુ, જુના કટારિયાના હેમુદાન ગઢવી સહિતના આગેવાનો રામજીભાઈ પટેલ, હીરા ભચુ કોળી, કાસમભાઈ ત્રાયા, રહીમભાઈ ત્રાયા, કાસમભાઈ સોલંકી, મમુભાઈ કોળી અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. રાજકીય માથાઓની 300 ટ્રકો મફત, તો 15 ગામની 300 કાર માટે જ નિયમો કેમ ?સ્થાનિક લોકોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે સુરજબારી ટોલ પરથી રાજકીય વગ ધરાવતા મોટા માથાઓની 300 કરતા વધારે ટ્રકો રોજેરોજ મફત પસાર થવા દેવામાં આવે છે. મોટા માણસો માટે ટોલનાકા પર કોઈ નિયમ નથી. જો રાજકીય લોકોની 300 ટ્રકો મફત નીકળતી હોય, તો આસપાસના 15 ગામોની 300 જેટલી સ્થાનિક કાર માટે જ સરકારી નિયમો શા માટે? માત્ર નાના માણસો માટે જ નિયમો કેમ તેવો સવાલ ઉઠાવી ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. 10 માર્ચે બપોરે 3 વાગ્યા સુધીમાં નિરાકરણ નહીં આવે તો ચક્કાજામ કરવાની ચીમકીસુરજબારી ટોલપ્લાઝાની આસપાસના 15 જેટલા ગામોએ ટોલ કંપની અને વહીવટી તંત્રને અલ્ટીમેટમ આપતા ચીમકી આપી છે કે, આગામી 10 માર્ચના રોજ બપોરે 3 વાગ્યા સુધીમાં સુરજબારી ટોલનાકે NHAI ના અધિકારીઓ રૂબરૂ આવીને આ 15 ગામોના પ્રશ્નનું નિરાકરણ લાવે. જો નિર્ધારિત સમય સુધીમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો તમામ 15 ગામના લોકો હાઇવે પર ઉતરી આવીને ઉગ્ર ચક્કાજામ કરશે.
ભાસ્કર એનાલિસિસ:કચ્છમાં છેલ્લા 2 વર્ષથી લાપતા 14 બાળકોના વાલીઓ હજુ પણ પોતાના વ્હાલાઓની પ્રતીક્ષામાં
વિધાનસભાના બજેટ સત્રના બીજા ચરણમાં કચ્છ અને અમરેલી જિલ્લામાંથી છેલ્લા બે વર્ષ દરમિયાન કેટલા બાળકો અને મહિલાઓ ગુમ થયા હતા તે બાબતે સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં કચ્છ જિલ્લામાંથી કુલ 228 બાળકો ગુમ થયા હતા જેમાંથી 214 ને શોધી લેવાયા છે, જોકે છેલ્લા બે વર્ષથી ગુમ 14 બાળકોના વાલીઓ હજુ પણ તેની રાહમાં છે. ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ આતાજી ઠાકોરે નાયબ મુખ્યમંત્રી(ગૃહમંત્રી)ને વિધાનસભાના સત્ર દરમિયાન કચ્છ અને અમરેલી જિલ્લામાંથી છેલ્લા બે વર્ષ દરમિયાન ગુમ થયેલા બાળકો અને મહિલાઓ બાબતે સવાલ કર્યો હતો. જેમાં ચોકાવનારા આંકડા સામે આવ્યા છે. નાયબ મુખ્યમંત્રીએ આપેલા જવાબ પ્રમાણે વર્ષ 2024-25 દરમિયાન કચ્છ જિલ્લામાંથી કુલ 228 બાળકો ગુમ થયા હોવાની ફરિયાદ મળી હતી. જેના આધારે બાળકોને શોધવા માટે તેના સગા સબંધીઓ તેમજ મળવાની શક્યતા હોય ત્યાં તપાસ કરવામાં આવી હતી. તેમજ અન્ય પોલીસ મથકોમાં ગુમ થનારનું ફોટા સહીતનું વર્ણન મોકલવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુમ થનારના મોબાઈલ લોકેશન મેળવવા, ચિલ્ડ્રન હોમ અને નારી સંરક્ષણ ગૃહમાં તપાસ, સ્પેશીયલ ડ્રાઈવનું આયોજન અને ટેલિવિઝન-સમાચાર પત્રમાં પ્રસિદ્ધિ કરી મીશન વાત્સલ્ય પોર્ટલ પર વિગતો અપલોડ કરવામાં આવે છે. જેના આધારે ગુમ થયેલા 214 બાળકોને શોધી લેવામાં સફળતા મળી હતી. જોકે 14 બાળકોનું હજુ પણ કોઈ પત્તો મળ્યો નથી. બે વર્ષમાં જિલ્લામાંથી ગુમ થનાર બાળકોનો સૌથી વધુ આંકડો ગાંધીધામનો છે જ્યાંથી 77 બાળકો ગુમ થયા હતા જ્યારે ભુજમાંથી 51 બાળકો લાપતા થયા હોવાની ફરિયાદ થઇ હતી. આ ઉપરાંત નખત્રાણામાંથી-4, મુન્દ્રામાં-14, માંડવીમાં-11, અબડાસામાં-2, લખપતમાં-૩, અંજારમાં-39, ભચાઉમાં-18 અને રાપરમાંથી 9 બાળકો ગુમ થયાની ફરિયાદ થયેલી હતી. બે વર્ષમાં એકપણ મહિલા ગુમ નથી થઇ!વિધાનસભામાં બાળકો સહીત મહિલાઓ કેટલી ગુમ થઇ તે સવાલ પણ કરવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ આપેલા જવાબમાં આશ્ચર્યજનક વિગતો સામે આવી હતી. જેમાં છેલ્લા બે વર્ષ દરમિયાન એકપણ મહિલા ગુમ થઇ હોય તેવી ફરિયાદ આવી ન હતી.
8 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T-20 ફાઇનલ મેચ યોજાઇ હતી. જેમાં ટીમ ઇન્ડિયાની જીત થઈ હતી. ટીમ ઇન્ડિયા ફાઈનલમાં મેચ રમ્યા પહેલા મોટેરા સ્ટેડિયમ પાસે આવેલા હનુમાન ટેકરી દાદાના દર્શન કરવા માટે પહોંચી હતી. અને ટીમ ઇન્ડિયા પોતાની જીત બાદ પણ ટ્રોફી લઈને દાદાના ચરણોમાં દર્શન કરવા માટે પહોંચી હતી. દિવ્ય ભાસ્કરે હનુમાન ટેકરી દાદા મંદિરના મહારાજ ઈશ્વરદાસ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે ફાઇનલ પહેલાં સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને ગૌતમ ગંભીર દર્શન આવ્યા ત્યારે અને પછી શું શું થયું તે અંગે જણાવ્યું હતું. આ ઉપરાંત એક બાળકીને હનુમાનજી શ્રદ્ધાના આશીર્વાદ મળ્યા હતા. આ બાળકી સાથે પણ અમે વાત કરી હતી. આ અંગે મંદિરના મહારાજ ઇશ્વરદાસે જણાવ્યું હતું કે હું આ મંદિરમાં 2002થી સેવા આપી રહ્યો છું, આ મંદિર લગભગ 100 વર્ષ જૂનું છે. આ મંદિરના પહેલા ત્રણ સેવક હતા ત્યારબાદ હું અત્યારે ચોથા સેવક તરીકે સેવા આપી રહ્યો છું. 8 માર્ચે યોજાયેલી T-20 ફાઇનલ પહેલાં ટીમ ઇન્ડિયા દર્શન કરવા માટે મંદિરે આવી હતી. ત્યારે દાદાએ તેમને દર્શન આપ્યા હતા. ‘મેચ પહેલા આશીર્વાદ લઈને ગયા હતા’ઇશ્વરદાસે આગળ જણાવ્યું કે, સૂર્ય કુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને ગૌતમ ગંભીર જ્યારે આ મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા ત્યારે તેઓ દર્શન કરીને દાદાના ચરણોમાં શિશ ઝૂકાવીને આશીર્વાદ મેળવીને ગયા હતા. અમે અમારી તરફથી મંદિરમા પૂજા અર્ચના કરી હતી. જોકે ટીમ ઇન્ડિયાની જીત બાદ પણ કેપ્ટન સૂર્ય કુમાર યાદવ ટીમ સાથે ટ્રોફી લઈને મંદિરે ફરીથી દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ‘જય શાહ મહિને ત્રણ-ચારવાર દર્શન કરવા આવે છે’તેઓ મંદિરે આવ્યા ત્યારે તેમની સાથે જય શાહ પણ દર્શન કરવા આવ્યા હતા. જોકે જય શાહ તો જેટલી વાર અમદાવાદમાં આવે છે એટલી વખત મહિનામાં ત્રણથી ચાર વાર હનુમાન ટેકરી દાદાના દર્શને ચોક્કસ આવે છે. આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. પોતાની માનતા બાધા અહીં પૂરી કરવા માટે આવતા હોય છે. પરી સ્કેચ સાથે સ્ટેડિયમે ઉભી રહી પણ ફેવરિટ ક્રિકેટરને મળી શકી નહીંહાર્દિક પંડ્યા, અક્ષર પટેલને મળવાની ઈચ્છા ધરાવતી 15 વર્ષની પરી પટેલે સૂર્ય કુમાર અને હાર્દિક પંડ્યાનો સ્કેચ બનાવ્યો હતો. તેણે મોદી સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને મળવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સિક્યુરિટીના કારણે તે કોઈ ખેલાડીને મળી શકી ન હતી. હનુમાન મંદિરે પ્રાર્થના કરી ને બીજી જ મિનિટે હાર્દિક-સૂર્યા સામે દેખાયાત્યાર બાદ પરી પટેલ નિરાશ થઈને મોદી સ્ટેડિયમ પાસે આવેલા હનુમાન ટેકરી મંદિરે ભગવાનને એ સ્કેચ બતાવવા માટે પહોંચી ભગવાનને પ્રાર્થના કરી હતી કે મારે હાર્દિક પંડ્યા અને ટીમ ઇન્ડિયાને મળવું છે. જાણે હનુમાન દાદાએ કોઈ ચમત્કાર કર્યો હોય તેવા દ્રશ્યો બીજી જ મિનિટે જોવા મળ્યા. સ્કેચ પર ઓટોગ્રાફ પણ લીધોપરી પટેલ સૂર્યકુમાર યાદવ હાર્દિક પંડ્યા અને સંજુ સેમસનના ત્રણ સ્કેચ લઈને મંદિરમાં ઉભી હતી ત્યારે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ હનુમાન ટેકરી મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને પરીના હાથમાં સ્કેચ જોઈને સૂર્યકૂમાર યાદવ અને હાર્દિક પંડ્યા ખુશ થઈને તેને મળ્યા હતા. માત્ર એટલું જ નહીં, સ્કેચ પર તેમનો ઓટોગ્રાફ પણ લીધો હતો. ઓટોગ્રાફ લીધા બાદ પરી બીજા દિવસે ફરી હનુમાન ટેકરી દાદાના દર્શન કરવા માટે સ્કેચ લઈને પહોંચી હતી. ત્યારે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં પરી પટેલે જણાવ્યું હતું કે, મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. ભારત વર્લ્ડકપ જીતી ગયું, તેથી મને ખૂબ જ આનંદ થયો. ‘અમે જેવા અંદર ગયા, તુરંત જ હાર્દિક અને સૂર્યકુમાર યાદવ ત્યાં આવ્યા’હું હાલમાં 11 કોમર્સમાં અભ્યાસ કરું છું. મને કોઈ ખ્યાલ નહોતો કે મને ઓટોગ્રાફ મળી જશે. મેં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો, પણ ત્યાં સુરક્ષા ખૂબ જ કડક હતી. પછી અમે હનુમાન મંદિરે દર્શન કરવા આવ્યા. અમે જેવા અંદર ગયા, તુરંત જ હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ ત્યાં આવ્યા. ત્યાંના ચાર પોલીસ કર્મચારીઓએ મને ખૂબ મદદ કરી, જે હું ક્યારેય ભૂલી શકીશ નહીં. મેં આ પોટ્રેટ રાત્રે 11:30થી સવારના 5 વાગ્યા સુધીમાં બનાવ્યું છે. ‘મારો ફેવરિટ પ્લેયર હાર્દિક પંડ્યા છે’હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને સંજુ સેમસનના પોટ્રેટ બનાવ્યા છે. મારો ફેવરિટ પ્લેયર હાર્દિક પંડ્યા છે. મને પહેલા ક્રિકેટમાં એટલો રસ નહોતો, પણ હવે ઘણો વધી ગયો છે. હનુમાન ટેકરી મંદિરના મહારાજે મને ઘણા આશીર્વાદ અને શુભેચ્છાઓ આપી હતી કે મારી દરેક ઈચ્છા પૂરી થાય. અને ખરેખર એવું જ થયું. પરીને સૂર્યકુમાર અને હાર્દિકે શું કહ્યું?સૂર્યકુમાર અને હાર્દિક પંડ્યાને મળીને તો ખુશી બહુ આવી ગઈ હતી. એમના ચહેરા પર પણ આનંદ તો છલકાઈ જ રહ્યો હતો. સાથે સાથે સૂર્યકુમાર યાદવે તો મને કહ્યું કે 'બહુત અચ્છા' અને હાર્દિક પંડ્યાએ કહ્યું કે 'બહુ સરસ બનાવ્યું છે'. જ્યારે હાર્દિક પંડ્યાએ મારી સાથે ગુજરાતીમાં વાત કરી ત્યારે મને વધારે મજા આવી ગઈ. ‘ટીમ ઇન્ડિયા પર ભગવાનના આશીર્વાદ તો હોય જ’જ્યારે મંદિરે દર્શન કરવા માટે આવેલી યુક્તિ ચાવડાએ જણાવ્યું હતું કે, હું અહીં 10 વર્ષથી આવું છું, નાની હતી ત્યારથી દાદાના દર્શન કરું છું.લાઈક મારા મમ્મી લોકો નાના હતા ત્યારનું આ મંદિર છે, એટલે બધાને બહુ જ શ્રદ્ધા છે. ટીમ ઇન્ડિયા પહેલાં આવી ત્યારે મને ખબર પડી હતી ત્યારે એવું જ હતું કે ટીમ ઇન્ડિયા જ જીતશે. પહેલાથી જ ખબર પડી ગઈ હતી કે ઇન્ડિયા જ જીતશે, કારણ કે દર્શન કરવા આવી હતી એટલે ભગવાનના આશીર્વાદ તો હોય જ એમની ઉપર. અહીં ભગવાનના આશીર્વાદ પણ એમની ઉપર છે અને એવી રીતે જ આખી ટીમ જીતશે, ભગવાનના આશીર્વાદ હશે એટલે.
ભાસ્કર વિશેષ:કચ્છમાં 22,558 કિશોરીને સર્વાઈકલ કેન્સરની રસી અપાશે
કચ્છમાં મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપીને સરકાર દ્વારા ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઈકલ કેન્સર) સામે રક્ષણ આપતી એચપીવી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાયો છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ ઝુંબેશ આગામી 31 મે સુધી કાર્યરત રહેશે, જે અંતર્ગત કિશોરીઓને બીમારી સામે રક્ષણ આપતી વેકસિન મૂકવામાં આવશે. જિલ્લા આરોગ્ય વિભાગના આંકડા મુજબ, આ અભિયાન હેઠળ જિલ્લામાં કુલ 22,558 લાભાર્થી કિશોરીની નોંધણી કરાઈ છે. અભિયાનના પ્રારંભિક તબક્કાથી અત્યાર સુધીમાં 494 દીકરીને રસીનો ડોઝ અપાયો છે. આ રસી ખાસ કરીને 14 વર્ષ પૂર્ણ અને 15મું વર્ષ ચાલતું હોય તેવી કિશોરીઓને આપવામાં આવી રહી છે. જિલ્લામાં રસીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે 96 કોલ્ડ ચેઈન સેન્ટરો કાર્યરત છે. લાભાર્થીઓ નજીકના સીએચસી, પીએચસી, યુએસસી અથવા જિલ્લા હોસ્પિટલ ખાતે જઈને નિઃશુલ્ક રસી મેળવી શકે છે. રસી આપ્યા બાદ ટેકો સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવે છે અને લાભાર્થીને ઓનલાઈન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે. કચ્છના આરોગ્ય તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે, જે કિશોરીઓની વય 14 થી 15 વર્ષની વચ્ચે છે, તેમના વાલીઓએ જાગૃત બની નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. 31 મે સુધી ચાલનારા આ અભિયાનનો મહત્તમ લાભ લઈ જિલ્લાની દીકરીઓને કેન્સર મુક્ત ભવિષ્ય આપવા સહભાગી બનવું જોઈએ. ભાસ્કર નોલેજશા માટે એચપીવી રસી લેવી જરૂરી છે?ગર્ભાશયના મુખનું કેન્સર એ ભારતમાં મહિલાઓમાં જોવા મળતું બીજા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર છે. એચપીવી રસી આ કેન્સર સામે 90% થી વધુ સુરક્ષા આપે છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, આ રસી તબીબી રીતે સુરક્ષિત છે. સામાન્ય રસીની જેમ જ હાથ પર સ્નાયુમાં આપવામાં આવે છે. રસી લીધા બાદ ભાગ્યે જ કોઈને સામાન્ય તાવ અથવા જે જગ્યાએ રસી આપી હોય ત્યાં સામાન્ય દુખાવો કે સોજો આવી શકે છે, જે ટૂંકા સમયમાં આપોઆપ મટી જાય છે. આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓ અને આશાવર્કર મારફતે જાગૃત્તિ કાર્યક્રમો કરી રસીની સમજ આપવામાં આવી હોવાનું જણાવાયું છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
ઇરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધના કારણે UAE, સાઉદી અરેબિયા, ઓમાન અને કતાર જેવા ખાડી દેશોમાં ફસાયેલા લોકોની મદદ માટે વિવિધ સામાજિક સંસ્થાઓની સાથોસાથ વેપારી સંસ્થાઓ પણ આગળ આવી છે. ઇનગ્લોબલ બિઝનેસ ફાઉન્ડેશન (IBF)એ ભારતીય નાગરિકો માટે હેલ્પ ડેસ્ક શરૂ કર્યું છે. અત્યારસુધીમાં 82થી વધુ લોકોએ હેલ્પ ડેસ્કમાં ઇન્કવાયરી કરી છે. જ્યારે 6 વ્યક્તિઓને IBFની મદદથી અમદાવાદ પરત લવાયા છે. દિવ્ય ભાસ્કરે IBFના સેક્રેટરી હિરેન ગાંધી પાસેથી આ અંગે વધુ વિગતો મેળવી હતી. ઇરાનના હુમલા બાદ દુબઇમાં ઘણા ભારતીયો ફસાયેલા છે. ભારતની કોન્સ્યૂલેટ જનરલ દુબઇમાં અને એમ્બેસી અબુ ધાબીમાં આવેલી છે. ફસાયેલા લોકોએ IBFનો સંપર્ક કરતાં IBFએ કોન્સ્યૂલેટ જનરલ અને ભારતીય દૂતાવાસને જાણ કરી હતી. સાથે જ ફસાયેલા લોકો વિશે માહિતી આપી હતી. જેના પછી દૂતાવાસના અધિકારીઓએ તેમને સંપર્ક કરવાની ખાતરી આપી હતી. દૂતાવાસના અધિકારીઓએ ફોર્માલિટી પૂરી કરી અને ફસાયેલા લોકોમાંથી 6 લોકો અમદાવાદ પાછા આવી ગયા છે. આ 6 લોકોમાં એક વ્યક્તિ તો ડાયાબિટીસની દર્દી હતી. જ્યારે એક પરિવારને એક વર્ષનું બાળક હતું. પરત ફરેલા 6 લોકોમાં સુમંત ચૌધરી નામના એક બિઝનેસમેન પણ હતા. તેમણે IBFનો આભાર માન્યો છે. IBFના સેક્રેટરી હિરેન ગાંધીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, દુબઇ બિઝનેસ સેન્ટર છે અને ત્યાંથી બીજા ખાડી દેશોની કનેક્ટિવિટી મળે. ગુજરાત અને ભારતના ઘણા વેપારીઓ ત્યાં અવર જવર કરતાં હોય છે. અહીંથી 2-2:30 કલાકનો રૂટ છે. દુબઇમાં ગુજરાતીઓનું વર્ચસ્વ બહુ સારું છે. હેલ્પ ડેસ્ક શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તે અંગે જણાવતાં તેમણે કહ્યું કે, આ યુદ્ધ થયું પછી અમને સમાચાર મળ્યાં કે વેપારીઓને પાછાં આવવામાં બહુ તકલીફ છે. 2-3 ડ્રોન ત્યાં બ્લાસ્ટ થયાં એટલે બહુ પેનિક થઇ ગયું હતું. આવામાં IBFએ નક્કી કર્યું કે આપણે હેલ્પ ડેસ્ક ચાલુ કરીએ. જેથી અમે આ હેલ્પ ડેસ્ક ચાલુ કર્યું હતું અને ઇ-મેઇલ તેમજ મોબાઇલ નંબર આપ્યા હતા. અમે સરકાર અને એમ્બેસીને સાથે રાખીને વેપારીઓને મદદ કરીશું. તેમણે ફસાયેલા લોકોને ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવાની અપીલ કરી. તેઓ કહે છે કે, ફસાયેલા લોકો ઇન્ડિયન એમ્બેસીનો પ્રોપર સંપર્ક કરે. એમ્બેસીમાંથી ફોર્મ આપશે જે સબમિટ કરવાથી ઇમિગ્રેશન અને ફ્લાઇટ બુકિંગ બાબતે મદદ મળશે. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સનો સંપર્ક કરો. તમને સપોર્ટ અને રસ્તો મળી રહેશે. જે પ્રોટોકોલ હોય, ફોર્માલિટી હોય તે ત્યાં જઇને પૂરી કરો. ઇન્ડિયન ગર્વમેન્ટ સંપૂર્ણ સક્રિય છે. અમારો પણ સંપર્ક કરો. અમે તમને સપોર્ટ કરીશું, સમજાવીશું. કોઇએ પેનિક થવાની જરૂર નથી. તેમણે સામાન ઓછો રાખવાની અને શોપિંગ ટાળવાનું પણ કહ્યું.તેઓ કહે છે કે, લગેજ વધુ હોવાથી 2 માણસોની જગ્યા ઓછી થાય છે. આવું કરવાની શું જરૂર છે? લગેજ ઓછો કરી દો અને શોપિંગ ટાળો, શોપિંગ કરવાની જરૂર નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, જેને હેલ્થનો પ્રોબ્લેમ હોય કે નાના બાળકો હોય, મહિલા હોય તેમને અમે પ્રાયોરિટી આપીએ છીએ. સરકારની ગાઇડલાઇન પ્રમાણે પેપર વેરિફાય કરવાના હોય તેમને અમે બેકસપોર્ટ આપીએ છીએ. ટૂંક સમયમાં બધાં પાછાં આવી જશે.
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં આજે વાત એક એવા ખૂંખાર ગુનેગારની જેને 3-3 રાજ્યોની પોલીસ શોધતી હતી. ઉત્તર પ્રદેશમાં 15, ગુજરાતમાં 4 અને મહારાષ્ટ્રમાં 1 ગુનામાં ફરાર મનીષસિંહ નામના એક આરોપીની ક્રાઇમ કુંડળીમાં 2 કેસ તો એવા હતા જે બોલિવૂડની 2 પ્રખ્યાત હિરોઇન સાથે જોડાયેલા હતા. હત્યા, ખંડણી, ફાયરિંગ, હથિયાર.... એકપણ ગુનો એવો નહોતો કે જે મનીષના નામે ન બોલતો હોય. ગુજરાત પોલીસે મુંબઇમાં દિલધડક ઓપરેશન કરીને તેને દબોચી લીધો હતો. 8 એપ્રિલ, 2014ની વાત છે.રાત્રે 8:45 વાગ્યે અમદાવાદના મદદનીશ પોલીસ કમિશનર (ACP) એન.ડી.ચૌધરી પોતાની ઓફિસમાં બેઠા હતા. એક જરૂરી કામમાં પરોવાયેલા હતા તેવામાં જ તેમનો મોબાઇલ રણક્યો. સ્ક્રીન પર તેમના પરિચિત બાતમીદારનું નામ આવ્યું અને ACP ચૌધરીએ કોલ રિસિવ કર્યો. સામે છેડેથી અવાજ આવ્યો- સાહેબ, લાલ ટી-શર્ટ અને ખાખી પેન્ટ પહેરેલો એક શખસ જૂના વાડજમાં દશા માતાના મંદિર સામે આવેલા ખૂશ્બુ નાસ્તા સેન્ટર પર બેઠો છે. એની પાસે પિસ્તોલ છે. નામ છે કમલસિંહ. ACP ચૌધરીએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પ્લાન તૈયાર કર્યો. આ કોઇ સામાન્ય વાત નહોતી એટલે વધારે કાળજી રાખવી પડે તેમ હતી કેમ કે ભીડભાડવાળો વિસ્તાર હતો અને કમલસિંહ પાસે હથિયાર હતું. જો જરા સરખી પણ ચૂક થાય તો નિર્દોષ નાગરિકોનું લોહી વહે તેમ હતું. થોડી જ વારમાં ACP ચૌધરીએ આદેશ કર્યો કે એક ટીમ તૈયાર કરો. પિસ્તોલ સાથે ફરતા આરોપીને પકડવાનો છે. આદેશ બાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના મદદનીશ સબ ઇન્સ્પેક્ટર અરવિંદભાઇ સોમાભાઇ, મદદનીશ સબ ઇન્સ્પેક્ટર નજીમમિયાં કાસમમિયાં, પોલીસ કોન્સ્ટેબલ રામનરેશ રામદાસભાઇ, મહેતાબજી લક્ષ્મણજી અને જાવેદખાન યાસીનખાન પંચોને સાથે રાખીને તૈયાર હતા. પોલીસના 2-3 વાહનો તરત જ પગથિયાં પાસે પહોંચી ગયા. ધડ... ધડ... અવાજ સાથે દરવાજા ખૂલ્યા અને પોલીસ સ્ટાફ વાહનોમાં ગોઠવાઇ ગયો. બીજી જ સેકન્ડે ડ્રાઇવરે વાહનોને જૂના વાડજની દિશામાં હંકારી મૂક્યા. રાતનો સમય હોવાથી શહેરમાં થોડો ઘણો ટ્રાફિક હતો. આ ટ્રાફિકને ચીરતી પોલીસ જૂના વાડજમાં દશા માતાના મંદિર પાસે પહોંચી ગઇ. પોલીસને જોઇને કમલસિંહ ભાગી ન જાય અને તેને ખબર ન પડે તે રીતે આખું ઓપરેશન પાર પાડવાનું હતું. વળી પાછું તેની પાસે પિસ્તોલ પણ હતી એટલે પોલીસથી બચવા માટે તે ફાયરિંગ પણ કરે તેવી શક્યતા હતી. પોલીસે કોઇપણ જાતની ઉતાવળ કરવાને બદલે કે ફિલ્મી સ્ટાઇલથી ગાડીઓ સાથે ખૂશ્બુ નાસ્તા સેન્ટર પર પહોંચવાને બદલે ગાડીઓ મંદિરથી થોડે દૂર મૂકી દીધી. તેમાંથી એક પછી એક પોલીસ જવાનો નીચે ઉતર્યાં. નીચે ઉતરીને સૌએ એકસાથે નાસ્તા સેન્ટર પર પહોંચવાને બદલે છુટા પડીને બિલ્લી પગે પહોંચવાનું નક્કી કર્યું હતું. હવે સ્ટ્રીટ લાઇટના પીળા પ્રકાશમાં પોલીસકર્મીઓ ઉતાવળા પગલાં માંડી રહ્યા હતા. કમલસિંહ છટકી જાય તે પહેલાં તેને દબોચવાનો હતો. થોડી જ મિનિટોમાં પોલીસ જવાનો ખૂશ્બુ નાસ્તા સેન્ટર પર ઊભા હતા. નાસ્તા સેન્ટર પર નજર પડી તો લાલ ટી શર્ટ અને ખાખી પેન્ટમાં સજ્જ થયેલો કમલસિંહ નિશ્વિંત થઇને ખુરશીમાં બેઠો હતો. તેને અંદાજો પણ નહોતો કે તે હવે પોલીસના હાથે પકડાવાનો છે. પોલીસના જવાનો ચારેતરફ વિખરાઇ ગયા અને કમલસિંહને ઘેરી લીધો. તે આઘોપાછો થાય તે પહેલાં જ વીજળી વેગે ત્રાટકીને તેને બોચીએથી પકડી લીધો. કમલસિંહને હલવાની તક પણ ન મળી. જે કમલસિંહ થોડી સેકન્ડ પહેલાં નિશ્ચિંત થઇને ખુરશીમાં બેઠો હતો તે હવે એકદમ ડઘાઇ ગયેલી હાલતમાં હતો. તેના ચહેરા પર ડર અને ગભરામણ સ્પષ્ટ દેખાતા હતા. બોચી પર પડેલા મજબૂત હાથોએ તેને એટલો તો અનુભવ કરાવી દીધો હતો કે આ હાથ પોલીસના છે. થથરતા અવાજે તેણે પૂછ્યું- કોણ છો તમે?સામેથી જવાબ મળ્યો- અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ. કોઇપણ હોંશિયારી કરતો નહીં. તુ અમારી પકડમાંથી છૂટી શકે તેમ નથી. પોલીસ જવાનોનો આ જવાબ સાંભળીને કમલસિંહ ઢીલો પડી ગયો. તેને ખ્યાલ આવી ગયો કે હવે કંઇ થઇ શકે તેમ નથી. પોલીસે સ્થળ ઉપર જ તેની તલાશી લીધી. જેમાં તેની કમરની પાછળની ફેટના ભાગેથી એક પિસ્તોલ મળી આવી હતી. પોલીસે સાવચેતીથી પિસ્તોલનું મેગઝીન કાઢીને જોયું તો તેમાં 4 કારતૂસ લોડ કરેલા હતા. જેનો અર્થ હતો કે કમલસિંહ એ ગણતરીમાં જ બેઠો હતો કે ગમે ત્યારે કંઇ જરૂર પડે એટલે પિસ્તોલ કાઢીને સીધું ફાયરિંગ જ કરી શકાય. PSI આર.બી.રાણાએ કમલસિંહ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પોલીસે કમલસિંહની પૂછપરછ કરી તો તે જૂના વાડજમાં દશા માતાના મંદિર સામે આવેલા સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતો હોવાનું ખૂલ્યું હતું. અહીંથી આખા કેસમાં ખૂંખાર ગુનેગાર મનીષસિંહની એન્ટ્રી થવાની હતી. પોલીસે જ્યારે કમલસિંહને પૂછ્યું કે તુ આ પિસ્તોલ ક્યાંથી લાવ્યો ત્યારે તેણે મનીષસિંહનું નામ દીધું. તેણે કહ્યું કે મેં આ પિસ્તોલ મનીષસિંહ પાસેથી ખરીદી હતી. મનીષસિંહનું નામ સાંભળતાં જ પોલીસ ચોંકી ગઇ કેમ કે અંદાજે ત્રણેક મહિના પહેલાં જ પ્રેમ લગ્ન મામલે બોટાદમાં ડબલ મર્ડર કરીને મનીષસિંહે આખા પંથકને હચમચાવી મુક્યો હતો. હવે મનીષસિંહના ગુનાહિત ઇતિહાસના કાળા પાના ખુલવા લાગ્યા હતા. વાતની શરૂઆત વર્ષ 1999થી થાય છે. બોટાદમાં પેટ્રોલપંપ, મલ્ટિપ્લેક્સ અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા ભરત વાળાએ 1999માં સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના એક ગામના સરદારસિંહની દીકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેનાથી સરદારસિંહના પરિવારજનો નારાજ હતા. 28 જૂન, 2001ના દિવસે સરદારસિંહ અને બીજા 2 લોકોએ સાથે મળી ભરત વાળાના પિતા બહાદુરભાઇ પર ફાયરિંગ કરી તેમની હત્યા કરી નાખી હતી. આ કેસમાં સરદારસિંહનું 2003માં મૃત્યુ થયું હતું જ્યારે કોર્ટે બાકીના 2 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. આ ઘટનાના અંદાજે 13 વર્ષ બાદ એટલે કે 21 જાન્યુઆરી, 2014ના રોજ સાંજના સાડા સાત વાગ્યા આસપાસ ભરત વાળા પોતાના પેટ્રોલપંપની ઓફિસમાં હતા. આ સમયે તેમના પરિચિત રણછોડભાઇ કેવડિયા અને જીતેશભાઇ કેવડિયા લગ્નની કંકોતરી આપવા માટે આવ્યા હતા. આ બધા પેટ્રોલ પંપની ઓફિસમાં બેઠા હતા. એ સમયે યુવરાજસિંહ અને બીજો એક અજાણ્યો શખસ ત્યાં આવ્યા હતા અને કોઇ કંઇ સમજે તે પહેલાં જ ભરતભાઇ અને તેની નજીક કાર્પેટ પર બેઠેલા રણછોડભાઇ પર અંધાધૂંધ ફાયરિંગ કરવા લાગ્યા હતા. થોડી જ સેકન્ડમાં બન્નેના મોત નિપજ્યાં. આના પછી યુવરાજસિંહ અને તેની સાથે આવેલો અજાણ્યો શખસ ભાગી ગયા હતા. આ અજાણ્યો શખસ બીજું કોઇ નહીં પણ મનીષસિંહ હતો. ગુજરાતમાં મનીષસિંહના નામે આ વધુ એક ગુનો નોંધાયો હતો. હત્યા કર્યા બાદ ફરાર થઇ ગયેલા મનીષસિંહનો વર્ષો સુધી કોઇ પત્તો નહોતો. મનીષસિંહ કોઇ સામાન્ય ગુંડો નહોતો. તેના પર ઉત્તર પ્રદેશની વારાણસી પોલીસે 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. આવા ગુનાઓમાં નાસતાં ફરતાં આરોપીઓને પકડવા ઘણીવાર પોલીસ ખાસ ઝુંબેશ ચલાવતી હોય છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ આવી ઝુંબેશ ઘણીવાર કરે છે. મનીષસિંહ ફરાર થઇ ગયાના 7 વર્ષ બાદ એટલે કે 2021માં ક્રાઇમ બ્રાન્ચે ઝુંબેશ શરૂ કરી હતી. જેમાં તત્કાલીન પીઆઇ એસ.એમ.પટેલને ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળી હતી કે ઉત્તર પ્રદેશના ખૂંખાર સુભાષસિંહ ઠાકુર ગેંગનો ઇનામી વોન્ટેડ મનીષસિંહ હાલમાં મુંબઇના નાલાસોપારા વિસ્તારમાં છે. તે રશ્મિ ગાર્ડન, એવરશાઇન સિટી, વસઇમાં રહે છે. મનીષસિંહ સામે બોટાદમાં ડબલ મર્ડર, અમદાવાદ અને વડગામમાં હથિયારનો ગુનો નોંધાયેલો હતો એટલે ક્રાઇમ બ્રાન્ચ તરત જ હરકતમાં આવી અને મનીષસિંહને પકડવાનો પ્લાન તૈયાર કર્યો. પોલીસ જાણતી હતી કે મનીષસિંહ કોઇ સામાન્ય ગુનેગાર નહોતો. મનીષસિંહના તાર બોલિવૂડની ગ્લેમરસ દુનિયા સાથે પણ જોડાયેલા હતા. હવે સવાલ એ હતો કે વર્ષોથી પોલીસને થાપ આપનારો મનીષસિંહ શું આ વખતે સરળતાથી પકડાઇ જશે?પોલીસ તેને કેવી રીતે પકડશે?બોલિવૂડની એ 2 પ્રખ્યાત હિરોઇન કોણ હતી? આ તમામ સવાલોના જવાબ જાણવા માટે જુઓ ગુજરાત ક્રાઇમ ફાઇલ્સનો બીજો એપિસોડ.
ઈમરજન્સી ગણાતી હૃદય, અકસ્માત, મગજ, ઝેરીદવા પી લેવા સમાન ગંભીર ઘટનામાં સમયને જ મોટું શસ્ત્ર સમજી સારવાર કરવી જોઇએ તેમ યુનાઈટેડ કિંગડમ સહિત ભારતના જુદાજુદા ઇમરજન્સી મેડિસિનના નિષ્ણાતોએ ભુજની જનરલ હોસ્પિટલ ખાતે યોજાયેલા સેમિનારમાં જણાવ્યું હતું. યુ.કે.ની રોયલ ડર્બી હોસ્પિટલના કન્સલ્ટન્ટ ડો. વેંકટ કોટમરાજુએ સ્ટ્રોક ઉપર સમજ આપી હતી. GAIMSના મેડિકલ ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લાઈએ આવકાર આપ્યો હતો. હૈદરાબાદની નિઝામ ઇન્સ્ટીટયુટના ડો. આસિમા શર્મા, ડી.વાય.પાટીલ મેડિકલ કોલેજ પૂણેના ડૉ. સરબરી સ્વાઈકા, જયપુર એમ. જી. એમ. મેડિકલ કોલેજના પ્રોફે.ડો. સુચિત વાયા તથા ડો.રેવાંત અગ્રવાલ, લખનૌ ડો.રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડો.રાજીવ રતનસિંઘ યાદવે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, બેંગલુરુ વ્યેદેહી મેડિકલ કોલેજ રિસર્ચ સેન્ટરના ડો.સહાના, બેંગલુરુ રામૈયા મેડિકલ કોલેજના ડો.હરિપ્રસાદ કે.વી., તમિલનાડુ મેડિકલ કોલેજના ડો.સત્ય તેજા રવિ, મેદાંતા હોસ્પિટલ નોઇડાના ડો. નતાશા તથા મેરિંગો સિમ્સ હોસ્પિટલના ડો.હર્ષિલ મેહતા, અમદાવાદના એચ.સી.જી. હોસ્પિટલના કન્સલ્ટન્ટ ન્યૂરો સર્જન ડો.પાર્થ જાનીએ માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, અમદાવાદ ન.મો.મેડિકલ કોલેજના ડો.મેહુલ ગજ્જર, વડોદરા મેડિકલ કોલેજના ડો.રીના પરીખ, રાજકોટ ના ડો.પ્રતીક દોશી તેમજ આણંદ પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ ડો.દર્શન શાહ અને ડો.કેયુર શાહે માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત મેડિકલ કાઉન્સિલ ઓબ્ઝર્વર ડો.બળવંતદાન ખડિયા હાજર રહ્યા હતા. અદાણી હેલ્થ કેરના હેડ ડૉ.પંકજ દોશીના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં ડીન ડો. એ.એન.ઘોષ, ચીફ મેડિકલ સુપ્રિ.ડો. નરેન્દ્ર હિરાણી, આસિસ્ટન્ટ.ડીન ડો.અજીત ખીલનાની સહિત તબીબો જોડાયા હતા. સંકેત પટેલ, ડો.શિવમ ભાનુશાલી અને ડો. રાહુલસિંહ જાડેજાએ આયોજન કર્યું હતું.
કચ્છના આંગણે આજે એક વિશેષ મુલાકાતે ભારે કુતૂહલ સર્જ્યું હતું. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદ્ગુરુ જગ્ગી વાસુદેવ મહારાજે આજે કચ્છના મહારાણી પ્રીતિદેવી સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવોએ કચ્છના વિકાસ અને સંસ્કૃતિમાં રાજપરિવારના ઐતિહાસિક યોગદાનને હૃદયપૂર્વક બિરદાવ્યું હતું. અગાઉ, માંડવી રોડ પર સ્થિત હેલીપેડ પર અચાનક ખાનગી ચોપરનું ઉતરણ થતા સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય અને જિજ્ઞાસા જોવા મળી હતી. શરૂઆતમાં અસમંજસ બાદ માલુમ પડ્યું હતું કે આ હેલિકોપ્ટરમાં ગૌતમ અદાણી અને સદગુરુ ભુજની મુલાકાતે આવ્યા છે. આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતને પગલે વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની હતી. પ્રભાવી વ્યક્તિત્વોના આ મિલનને કચ્છના સામાજિક વર્તુળોમાં ગૌરવપૂર્ણ ગણાવવામાં આવી રહ્યું છે.
વિધાનસભામાં સરકાર દ્વારા અપાઈ માહિતી:ધોરડોમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો પાછળ 6.74 કરોડનો ખર્ચ થયો
ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલી વિગતો મુજબ, કચ્છના વિશ્વવિખ્યાત ધોરડો ખાતે તૈયાર કરવામાં આવેલા લાઈટ એન્ડ સાઉન્ડ શો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ભૂજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે વિધાનસભા સત્ર દરમિયાન નાયબ મુખ્યમંત્રી (પ્રવાસન) ને આ પ્રોજેક્ટ અંગે સવાલ કર્યો હતો. ધારાસભ્યએ તા. 31/12/2025 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ધોરડો ખાતે લાઈટ એન્ડ સાઉન્ડની કામગીરી, તેના ખર્ચ અને તેમાં વપરાયેલા કમ્પોનન્ટ વિશે વિસ્તૃત માહિતી માંગી હતી. આ પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું હતું કે ધોરડોમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોની કામગીરી કરવામાં આવી છે. આ વિશેષ પ્રવાસન પ્રોજેક્ટ પાછળ છેલ્લા બે વર્ષમાં કુલ રૂ. 6,74,95,085/- નો માતબર ખર્ચ થયો હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે. પ્રોજેક્ટમાં આ કમ્પોનન્ટનો કરાયો છે સમાવેશસરકારના જવાબ મુજબ, આ પ્રોજેક્ટની કામગીરીમાં લાઈટ અને સાઉન્ડ શો, પ્રોજેક્ટર, સાઉન્ડ સીસ્ટમ, એસીપી (ACP) શીટ, અલગ અલગ પ્રકારની લાઈટીંગ, સ્ક્રિપ્ટ અને વોઈસ ઓવરનો સમાવેશ થાય છે.
માર્ચના આરંભે ‘હીટવેવ’:કચ્છમાં 3 મથકે પારો 40 ડિગ્રીને પાર જતા લોકો પરસેવે ન્હાયા
માર્ચ માસના બીજા સપ્તાહમાં જ ઉનાળાના આકરા તેવર જોવા મળી રહ્યા છે જેના પગલે કચ્છમાં ત્રણ મથકો પર મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો હતો. રાજ્યમાં બીજા ક્રમે ઉષ્ણ રહેલા કંડલા બંદરે અધિકત્તમ ઉષ્ણતામાન 41.4 ડિગ્રીએ પહોંચ્યું હતું. જિલ્લામાં તાપમાન સામાન્ય કરતાં 6થી 9 ડિગ્રી વધુ રહેવાની સાથે ઉનાળાના આરંભે જ ગરમીનું મોજું ફરી વળ્યું હતું. ગુરૂવારથી ગરમી ઘટવાની રાહતરૂપ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કંડલા બંદરે મહત્તમ તાપમાનનો પારો એક ઝાટકે 3 આંક ઉંચકાઇને 41.4 ડિગ્રીએ પહોંચતાં બંદરીય વિસ્તાર હોવા છતાં કાળઝાળ ગરમી અનુભવાઇ હતી. અહીં ઉષ્ણતામાન સામાન્ય કરતાં 9.3 ડિગ્રી જેટલું વધુ રહ્યું હતું. સમુદ્રી વિસ્તારમાં ભેજ અને ગરમીના કારણે લોકો પરસેવે રેબઝેબ થયા હતા. જિલ્લા મથક ભુજમાં પણ પારો એક ડિગ્રી વધીને 40.4 ડિગ્રી થતાં મધ્યાહ્ને લોકોએ કામ વિન ઘરની બહાર જવાનું ટાળ્યું હતું અને માર્ગો પર ચહલ પહલ ઘટી હતી. સામાન્ય કરતાં 6.4 ડિગ્રી જેટલા વધુ ઉષ્ણતામાન સાથે ઉનાળો કેવો આકરો રહેશે તેની કલ્પનાએ શહેરીજનોને અકળાવ્યા હતા. જો કે, સૂર્યાસ્ત બાદ ગરમીમાં રાહત અનુભવાઇ હતી. ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારોમાં પણ ગરમીની તીવ્રતા વધી હતી અને મહત્તમ તાપમાન 40.3 ડિગ્રીએ પહોંચ્યું હતું. સવારથી જ સૂર્યનારાયણે આકરા તેવર દેખાડ્યા હતા. મધ્યાહ્ને કાળઝાળ ગરમી અનુભવાઇ હતી. જિલ્લામાં ન્યૂનતમ તાપમાન 16થી 22 ડિગ્રી વચ્ચે રહેતાં મોડી રાત્રે સામાન્ય ઠંડક પ્રસરી હતી. ગુરૂવારથી મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટવાની સાથે ગરમીમાં આંશિક રાહત રહેશે તેવું પૂર્વાનુમાન હવામાન વિભાગે દર્શાવ્યું છે. તેની સાથે આગામી ત્રણ દિવસ સુધી કચ્છમાં યલો એલર્ટ પણ જારી કરાયું છે.
ભાસ્કર રિયાલિટી ચેક:બહુમાળી ભવનના 124 રૂમમાંથી 64 બંધ કે તાળા જોવા મળ્યા
શહેરમાં આવેલું બહુમાળી ભવન વિવિધ સરકારી કચેરીઓનું મહત્વપૂર્ણ કેન્દ્ર ગણાય છે, જ્યાં સોમવારે ભાસ્કરે રિયાલિટી ચેક કરતાં કેટલીક કચેરીઓ બંધ તથા તાળાબંધ જોવા મળી હતી. તો ઘણી જગ્યાએ કચરો તથા ધૂળ જામી ગયેલી ગાડીઓ નજરે પળી હતી. ભવનમાં અંદાજિત કુલ 124 ઓફિસ ઓરડાઓ છે. જેમાંથી અંદાજે 60 કચેરીઓ (48.39%) કાર્યરત જોવા મળે છે, જ્યારે 25 કચેરીઓ (20.16%) બંધ હતી અને 39 ઓરડાઓ (31.45%) તાળાબંધ જોવા મળ્યા હતા. આમ કુલ મળીને આશરે 51.61 ટકા જેટલા ઓરડાઓ નિષ્ક્રિય જોવા મળ્યા હતા. અમુક કચેરીઓ સમયાંતરે અન્ય સ્થળે સ્થળાંતરિત કરવામાં આવી હોવાથી તેના ઓરડાઓ હાલમાં ખાલી છે. બહુમાળી ભવન સરકારી સેવાઓ માટે કેન્દ્રસ્થાન હોવાથી જો ખાલી પડેલા ઓરડાઓનો યોગ્ય રીતે ઉપયોગ થાય અને જરૂરી વિભાગોને અહીંથી કાર્યરત બનાવવામાં આવે તો નાગરિકોને એક જ સ્થળે વધુ સેવાઓ સરળતાથી મળી શકે. સાથે-સાથે કાર્યરત કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ માટે પણ સંકલન સરળ બનશે. સરકારી કામગીરી વધુ સુવ્યવસ્થિત રીતે આગળ વધી શકે. ઉપલબ્ધ ઓરડાઓનો સુયોગ્ય ઉપયોગ થાય તો નાગરિકોને સરકારી કામકાજમાં વધુ સરળતા મળશે તેમજ સમગ્ર વ્યવસ્થામાં પણ કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ થઈ શકે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. દરવાજા ખુુલ્લા તૂટેલા દરવાજાઓના કારણે ઓરડો ખુલ્લી હાલતમાં છે, જ્યાંથી કોઈ અજાણ્યા લોકો પણ સહેલાયથી અંદર પ્રવેશી શકે તેવી સ્થિતિ છે. હોઝપાઇપ હોવો જરૂરી ભવનમાં લગવામાં આવેલ હોઝબોક્સ જેમાં હોઝપાઇપ હોવો જરૂરી જેના કારણે આગના સમયે રિલ સાથે તેને જોડી રાહત કામગીરી કરી શકાય. ધૂળ ખાતું વાહન ઘણા સમયથી ભવન પરિસરમાં પાર્ક કરાયેલા સરકારી વાહનોમાં ધૂળ જામેલી છે જે તેનો યોગ્ય ઉપયોગ ન થયાનું નજરે પડે છે.
ગૌ હત્યાનો આરોપી 8 માસ બાદ પોલીસના સકંજામાં:ગૌ-હત્યાના ગુનામાં ફરાર મોટી રોહાતડનો આરોપી ઝડપાયો
ખાવડા પોલીસ મથકે નોધાયેલા ગૌ-હત્યાના ગુનામાં છેલ્લા આઠ મહિનાથી નાસતા ફરતા મોટી રોહાતળ ગામના આરોપીને એલસીબીએ ઝડપી લીધો હતો.આરોપીને પકડવા માટે એલસીબીએ ઇકો વાન ભાડે કરી પેસેન્જરના સ્વાંગમાં આરોપી સુંધી પહોચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે તપાસમાં હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,મોટી રોહાતળ ગામના આરોપી વેરશી મીઠા સમા સામે ખાવડા પોલીસ મથકે પશુ પ્રત્યે ઘાતકી પણુ અટકાવવાની કલમ તળે ગુનો નોધાયેલો છે.જે પોલીસ પકડથી નાસતો ફરે છે અને હાલ પોતાના રહેણાંક મકાને હાજર છે. બાતમીને આધારે આરોપીને ઝડપી લેવા એલસીબીની ટીમે ઇકો વાન ભાડે કરી હતી અને પેસેન્જરના સ્વાંગમાં ગામમાં પહોચી સ્થાનિકેથી આરોપીને ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે,ગત 22 ઓગષ્ટ 2025 ના મોટી રોહાતળમાંથી ગૌવંશના માંસ સાથે આરોપી મુકીમ મીઠા સમા અને ઉમર ઓસમાણ સમાને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા.જ્યારે આરોપી વેરશી ભાગી જતા પોલીસને હાથ લાગ્યો ન હતો અને આઠ મહિનાથી ફરાર હતો.
ટંકારા બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા વિશ્વ મહિલા દિને નારીશક્તિના આદર્શ જીવનના સાત પગથિયા અંગેનો સંદેશો પાઠવી ધર્મ ના મર્મની સમજ આપી સાસુ વહુ વચ્ચે સ્નેહ કેળવાઈ અને શાંત ચિતે ચિંતન કરી સ્ત્રી શકિતને સંગઠિત રહી ઘર ને સ્વર્ગ બનાવવા અપીલ કરાઈ હતી. ટંકારા ખાતે કાર્યરત બ્રહ્માકુમારીઝ સેન્ટર દ્વારા વિશ્વ મહિલા દિવસે સ્ત્રીઓ માટે ખાસ આદર્શ જીવનની ચાવી શુ છે? વિષય પર યોજાયેલ કાર્યક્રમનો પ્રારંભ અતિથિ તરીકે ઉપસ્થિત ફીજીયોથેરાપિસ્ટ ડૉ.સારિકાબેન, નર્સ નિમુબેન, ટીચર જાગૃતિબેન સહિતનાઓએ દીપ પ્રાગટ્યથી કર્યો હતો. આ તકે, નારીશક્તિને આદર્શ જીવનના લક્ષ્યને સાધવા માટે આદર્શ નારીના સાત પગથિયાની વિસ્તૃત સમજ અપાઈ હતી. જેમા, પ્રથમ પગથિયું સંસ્કારી સંતાન, બીજુ પરીવારમા સંબંધોમા સુમેળ, ત્રીજુ સાદગી પૂર્ણ જીવન, ચોથુ સાત્વિક ભોજન, પાચમુ ઘરે જ પ્રતિદીન સાધના, છઠ્ઠુ શારીરિક સ્વાસ્થ્ય અને સાતમુ પગથીયુ સાત્વિક જીવનશૈલી. આ સાત પગથીયા ઉપર ગૃહ લક્ષ્મિએ ચાલવા સંદેશો પાઠવી સ્ત્રીને ત્રણ પ્રકારની લક્ષ્મી ગણાવતા સંધ્યાદીદીએ સ્ત્રીને ગૃહલક્ષ્મી, ધનલક્ષ્મી અને ધાન્યલક્ષ્મી ગણાવી ઘરગૃહસ્થી કેવી રીતે ચલાવવુ એનો અર્થ ધર્મ સાથે વણીને સમજાવ્યો હતો. એકતાદીદીએ આવકના સ્ત્રોત પ્રમાણે ખર્ચ કરવાથી ઘર મંદિર અને ઘર ભાગવત બને જયારે આવકથી વધુ ખર્ચ થવાથી મહાભારત સર્જાવાનો મર્મ કુનેહપૂર્વક સમજાવ્યો હતો. અંત મા, ઉપસ્થિત સાસુ વહુ વચ્ચે સ્નેહ લાગણી અને હેત પ્રેમ માટે સ્નેહ મિલનનો સંકલ્પ લેવડાવી ઘર-સમાજ ની શાંતિ માટે સ્થિર મને શિવશક્તિ નુ સ્મરણ કરાયુ હતું. કાર્યક્રમ દરમિયાન બહેનોમાં આધ્યાત્મિક ચેતના અને સંસ્કારી જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાઈ હતી. બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા સમાજમાં નારીશક્તિ સશક્ત બને અને પરિવાર વ્યવસ્થામાં સુમેળ વધે તેવા સંદેશ સાથે આવા કાર્યક્રમો સતત યોજાતા રહે તેવી ભાવના વ્યક્ત કરાઇ હતી. અંતે ઉપસ્થિતોએ પરિવાર અને સમાજમાં શાંતિ, પ્રેમ અને એકતા જળવાઈ રહે તે માટે સંકલ્પ લીધો હતો.
અજરામર એસોર્ટ ગ્રૂપ 100 દિવસ આપશે સેવા:વાંકાનેરમાં રાહદારીઓની તૃષા સંતોષવા 5 સ્થળે પાણીના પરબ શરૂ
વાંકાનેર શહેરમાં અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ (AAA Group) દ્વારા તા.8ના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં ઠંડા પાણીના પરબ શરૂ કરવામાં આવ્યા હતા. શહેરમાં કુલ પાંચ સ્થળે આ પરબ ખુલ્લા મુકવામાં આવ્યા છે, જેથી ઉનાળાની ગરમી દરમિયાન રાહદારીઓને ઠંડુ મિનરલ પાણી મળી રહે અને તેમને રાહત મળે. આ સેવાકીય કાર્યને લઈ શહેરના નાગરિકોમાં આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. ગ્રુપ દ્વારા માનવલક્ષી તેમજ અબોલ પ્રાણીઓ માટે પણ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ગરીબ પરિવારોના બાળકોને ભોજન, તહેવારો દરમિયાન મીઠાઈ તેમજ શિક્ષણ માટે શૈક્ષણિક સાહિત્ય આપવાની સેવાઓ પણ ગ્રુપ દ્વારા સમયાંતરે કરવામાં આવી રહી છે. આ સેવાકાર્યની શરૂઆત જૈન શાસનના નિયમ મુજબ ત્રણ નવકાર મંત્ર ગણી અને માંગલિક ફરમાવી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વાંકાનેરના ચીફ ઓફિસર ધવલભાઈ વેકરિયા સહિત ગ્રુપના સભ્યોની ઉપસ્થિતિમાં પાણીના પરબ ખુલ્લા મુકાયા હતા. આ પરબ શહેરના રસાલા રોડ પર ભાવિકા એન્ટરપ્રાઇઝ, દાણાપીઠ ચોક આગળ અજય ટ્રેડર્સ, HDFC બેંક સામે શ્યામવાળી પાસે રામરસ, દિવાનપરા મેઈન રોડ પર સૌરાષ્ટ્ર હેર સલૂન તેમજ જીનપરા મેઈન રોડ બાલમંદિર પાસે આદ્યશક્તિ ટેલિકોમ ખાતે કાર્યરત કરવામાં આવ્યા છે. આ પરબ સતત 100 દિવસ સુધી ચાલુ રહેશે. આ સેવાકીય પ્રવૃત્તિમાં સહયોગ આપનાર દાતાઓનો ગ્રુપ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પતિએ પત્નીને માર્યો ઢીકાપાટુનો માર:અણબનાવ થતાં પત્ની પિયર જતી રહી, ત્યાં ધસી જઇ પતિએ મારકૂટ કરી
મોરબીમાં પતિ સાથે મનમેળ ન હોવાથી હાલ રિસામણે માવતરના ઘરે રહેતી પત્નીએ પતિ પાસે ભરણપોષણ મેળવવા કોર્ટમાં કેસ કર્યો હોવાથી આ બાબતનો ખાર રાખીને તેના પતિ સહિત કુલ બે વ્યક્તિએ પત્નીના માવતરના ઘરે જઈને જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ સંદર્ભે પત્નીએ તેના પતિ સહિત બે શખ્સો સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે ભડીયાદ કાંઠે માહી એપાર્ટમેન્ટ બ્લોક નંબર 202 માં રહેતા પુષ્પાબેન રાકેશભાઈ સાગઠીયા (ઉ.વ.37)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ રાકેશભાઈ દેવજીભાઈ સાગઠીયા અને ચિરાગ અમૃતભાઈ સાગઠીયા રહે. બંને મોરબી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે છેલ્લા ત્રણેક વર્ષથી તેઓ પોતાના માવતરના ઘરે રિસામણે છે અને તેના પતિ રાકેશભાઈ સાગઠીયા સામે તેણીએ મોરબીની કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો છે. આ બાબતનો ખાર રાખીને ફરિયાદીને તેના પતિ અવારનવાર હેરાન પરેશાન કરતા હતા અને બંને આરોપી સાંજે 7:30 વાગ્યાના અરસામાં ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ત્યાં તેને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી મહિલાએ સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બન્ને આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવને પગલે વિસ્તારમાં થોડો સમય માટે તણાવભર્યું વાતાવરણ સર્જાયું હતું.
મોરબી જિલ્લા પંચાયતની વર્તમાન ચૂંટાયેલી બોડીની મુદત પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ચૂંટણીમાં લાભ મેળવી શકે તેવા આશયથી ફરી એકવાર ખાસ સામાન્ય સભા બોલાવાઇ છે. આ બેઠક આજે ૧૦ માર્ચના રોજ સાંજે ૪ વાગ્યે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે યોજાશે. વાર્ષિક બજેટ માટેની અગાઉની સભાને લગભગ અંતિમ સભા મનાઇ હતી, પરંતુ હવે ચૂંટણી પહેલાં પેન્ડિંગ વહીવટી અને તકનીકી મંજૂરીને બહાલી ન મળતા ઘણા કામ અટકી શકે તેવી સ્થિતિ હોવાથી આ ખાસ સભામાં આ બાકી કામને સામાન્ય સભાની મંજૂરી આપવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ સભા દ્વારા સ્વ ભંડોળ અને રેતી રોયલ્ટી હેઠળના પેન્ડિંગ વિકાસ કામો રસ્તા, પાણી પુરવઠો, શિક્ષણ વગેરેને અમલમાં મૂકવા માટે મંજૂરીઓ મળી શકે છે. આવતીકાલની સામાન્ય સભામાં અગાઉની બેઠકમાં સામાન્ય સભાની કાર્યવાહી નોંધ, સામાન્ય સભાની વિવિધ નોંધ,અલગ અલગ સમિતિની કાર્યવાહી નોંધને બહાલી આપવા ઉપરાંત વિવિધ સદસ્ય દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવને મંજૂરી આપવા, સ્વભંડોળ તથા રેતી રોયલ્ટીના જે કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપેલી હોય અને અમલ બાકી હોય તેવા તમામ તથા રજૂ થયેલા કામોને વહીવટી મંજૂરી આપવામાં આવશે.
નમસ્તે, આવતીકાલના મોટા સમાચારોમાં જોઈએ તો યુદ્ધની અસરના કારણે સરકારે ગેસના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવેથી ગેસનો બાટલો નોંધાવવા માટે 25 દિવસ પહેલું બુકિંગ કરાવવું પડશે. રાજસ્થાન અને પંજાબમાં કોમર્શિયલ ગેસના બાટલાના વેચાણ પર પ્રતિબંધ આવી ગયો છે. બીજી તરફ ઈરાન યુદ્ધમાં ભારતના સ્ટેન્ડ માટે બંને સદનમાં વિપક્ષે હોબાળો કર્યો હતો. બંગાળ પહોંચેલા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. બજેટ સત્રના બીજા તબક્કાનો આજે બીજો દિવસ છે. લોકસભા સ્પીકર વિરુદ્ધ પ્રસ્તાવ પર ચર્ચા થવાની શક્યતા છે. 2. સોનમ વાંગચુકની અટકાયતને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે કાલના મોટા સમાચારો 1. ગેસના બાટલાના બુકિંગના નિયમોમાં ફેરફાર:ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનો નિર્ણય, બીજો સિલિન્ડર 25 દિવસ પછી જ બુક કરી શકાશે; રાજસ્થાન-પંજાબમાં કોમર્શિયલ સિલિન્ડરના વેચાણ પર રોક કેન્દ્ર સરકારે ઘરેલું LPG સિલિન્ડરના રિફિલ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ગ્રાહકો એક સિલિન્ડર બુક કર્યા પછી બીજો સિલિન્ડર 21 દિવસને બદલે 25 દિવસ પછી જ બુક કરી શકશે. એટલે કે સરકારે રિફિલ બુકિંગના લઘુત્તમ વેઇટિંગ પિરિયડને 4 દિવસ માટે વધારી દીધો છે. બીજી તરફ રાજસ્થાન અને પંજાબમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વેચાણ પર પ્રતિબંધ આવી ગયો છે. મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે સરકારે આ પગલું ગેસનો સંગ્રહ અટકાવવા અને તમામ ગ્રાહકોને સમાન રીતે સપ્લાય સુનિશ્ચિત કરવા માટે ભર્યું છે. સરકારી સૂત્રોએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ (PTI) ને આ માહિતી આપી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી એવું જોવા મળી રહ્યું હતું કે જરૂર ન હોવા છતાં લોકો સિલિન્ડર બુક કરીને સ્ટોક કરી રહ્યા હતા. વેઇટિંગ પિરિયડને 25 દિવસ કરવાથી બિનજરૂરી બુકિંગ પર અંકુશ આવશે. તેનાથી એવા લોકોને સરળતાથી સિલિન્ડર મળી શકશે જેમને ખરેખર જરૂર છે.વાંચો સંપૂર્ણ સમાચાર 2. ટ્રમ્પે કહ્યું- ઓસ્ટ્રેલિયા ઈરાનની મહિલા ખેલાડીઓને શરણ આપે:નહીંતર અમેરિકા આપશે, પાછા મોકલવા મોટી ભૂલ; રાષ્ટ્રગાન ન ગાયું તો દ્વેષનો આરોપ આજે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો દસમો દિવસ છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓસ્ટ્રેલિયાને ઈરાની મહિલા ફૂટબોલ ખેલાડીઓને આશ્રય આપવા અપીલ કરી છે. ટ્રમ્પે કહ્યું કે તેમને ઈરાન પરત મોકલવાથી તેમના જીવન જોખમમાં મુકાશે અને તે એક ગંભીર માનવતાવાદી ભૂલ હશે. આ ઘટના ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા મહિલા એશિયન કપ દરમિયાન બની હતી. 28 ફેબ્રુઆરીએ ઈરાન પર થયેલા હુમલા બાદ મહિલા ટીમે રાષ્ટ્રગીત ગાયું નહોતું, જેને સરકાર સામે વિરોધ તરીકે જોવામાં આવ્યું હતું. આ પછી ઈરાની મીડિયાએ ખેલાડીઓને દેશદ્રોહી ગણાવ્યા અને તેમની સામે કાર્યવાહીની માંગ કરી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઈરાન યુદ્ધ પર બંને ગૃહોમાં વિપક્ષનો હોબાળો:સરકારે કહ્યું- સ્પીકરને હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવા તૈયાર સંસદના બજેટ સત્રના બીજા તબક્કાના પહેલા દિવસે, લોકસભા અને રાજ્યસભામાં અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધો પર ભારે હોબાળો થયો. વિપક્ષે યુદ્ધ પછીની પરિસ્થિતિ પર ચર્ચાની માંગ કરી. આ દરમિયાન, વિદેશ મંત્રીએ પહેલા રાજ્યસભામાં અને પછી લોકસભામાં ઈરાન યુદ્ધ શરુ થયા બાદ ગલ્ફ દેશોમાંથી ભારતીયોના પાછા લાવવા અને તે બાબતની તૈયારીઓ વિશે વાત કરી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન યુદ્ધ પર ભાષણ આપ્યું. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું, 28 ફેબ્રુઆરીથી મિડલ ઈસ્ટમાં તણાવ પ્રવર્તી રહ્યો છે. ઘણા ખાડી દેશોમાં પરિસ્થિતિ તંગ છે. વાતચીત થવી જોઈએ અને તણાવ ઓછો થવો જોઈએ. અમે ભારતીયોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. વિદેશ પ્રધાન એસ.જયશંકરના નિવેદનો સાંભળીને વિપક્ષના સાંસદો હોબાળો મચાવી રહ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર બંગાળની મુલાકાતે, કાલીઘાટમાં પૂજા કરી:લોકોએ ગો-બેકના પોસ્ટર, કાળા વાવટા ફરકાવ્યા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર રવિવારે સાંજે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા કોલકાતા પહોંચ્યા. 3 દિવસ ચાલનારી ચૂંટણી પંચની ફુલ બેન્ચ મીટિંગ દરમિયાન સોમવારે જ્ઞાનેશ કુમાર કાલીઘાટમાં પૂજા કરવા પહોંચ્યા હતા. મંદિરની બહાર હાજર પ્રદર્શનકારીઓએ ગો બેકના પોસ્ટર અને કાળા વાવટા ફરકાવ્યા હતા. આ પહેલા રવિવારે પણ કોલકાતા પહોંચતા કેટલાક લોકો તેમના કાફલા સામે ઝંડા લઈને પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ તરફ, ભાજપના એક ડેલિગેશને સોમવારે ભારતના ચૂંટણી પંચની ફુલ બેન્ચ સાથે મુલાકાત કરી અને માંગ કરી કે 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં જ યોજવામાં આવે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ઓઈલ સંકટના કારણે પાકિસ્તાનમાં 'લોકડાઉન'!:સ્કૂલો બે અઠવાડિયા માટે બંધ, કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ પોલિસી લાગુ; મંત્રીઓના પગાર–વિદેશ પ્રવાસો રોક્યા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સોમવારે વધતી ઓઈલ કિંમતોને ધ્યાનમાં રાખીને ખર્ચમાં કાપ મૂકવાની યોજનાની જાહેરાત કરી છે. આ અંતર્ગત સરકારી કચેરીઓ અઠવાડિયામાં માત્ર ચાર દિવસ ખુલશે અને અડધા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે. આ અઠવાડિયાના અંતથી શાળાઓ બે અઠવાડિયા માટે બંધ રહેશે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝ અનુસાર, મંત્રીઓ અને સલાહકારોના વિદેશ પ્રવાસો રોકી દેવામાં આવ્યા છે. મંત્રીઓ બે મહિના સુધી પગાર નહીં લે અને સાંસદોના પગારમાં 25%નો ઘટાડો થશે. તેમજ, પાકિસ્તાનમાં હવે બે મહિના સુધી સરકારી વાહનોને 50% ઓછું ઇંધણ મળશે. 60% સરકારી વાહનો ચાલશે નહીં. તમામ સરકારી વિભાગો પોતાના ખર્ચમાં 20%નો ઘટાડો કરશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. બે કોલેજીયન ફ્રેન્ડના આપઘાત કેસમાં મોટો ઘટસ્ફોટ:15 દિવસના અંતરાલમાં બંનેનું પ્રેમી સાથે બ્રેકઅપ થયું હતું, ચેટ મળી સુરતના ડીંડોલીમાં બે વિદ્યાર્થિનીઓના આપઘાત કેસમાં પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ઊંડાણપૂર્વકની તપાસમાં જાણવા મળ્યું છે કે, રોશની અને જ્યોત્સના બંનેના તાજેતરમાં જ બ્રેકઅપ થયા હતા, જેના કારણે તેઓ ઊંડા ડિપ્રેશનમાં સરી પડી હતી. ચોંકાવનારી વિગત એ છે કે, આ બંને બ્રેકઅપ માત્ર 15 દિવસના અંતરાલમાં જ થયા હતા, જેણે આ બંને સખીઓને માનસિક રીતે તોડી નાખી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. અમદાવાદની ખાનગી કોલેજ બહાર રિવોલ્વર બતાવી વિદ્યાર્થીઓને ધમકી:બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યએ નશામાં ગાડી તોડી, નવરંગપુરા પોલીસ ધરપકડ કરવા પહોંચી ખાનગી કોલેજની બહાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અસારવાના બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યે એક ગાડીમાં તોડફોડ કરી કોલેજના વિધાર્થી પર હુમલો કર્યો છે.આદિત્ય ગાડી લઈને આવ્યો હતો જે બાદ નશાની હાલતમાં કોલેજની બહાર પડેલી ગાડીમાં હથિયાર વડે તોડફોડ કરી વિધાર્થીઓને રિવોલ્વર બતાવી હતી. આ બનાવની જાણ થતા નવરંગપુરા પોલીસ સ્થળ પર પહોચી છે. શહેરના લો ગાર્ડન પાસે આવેલી ખાનગી કોલેજમાં બપોરના સમયે વિદ્યાર્થીઓ કોલેજની બહાર ઉભા હતા. આ દરમિયાન ફોર્ચ્યુનર ગાડી લઈને અસારવાના જાણીતા બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રાઠોડ પસાર થઈ રહ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ઈરાન યુદ્ધ વચ્ચે ભારત સરકાર એલર્ટ:પશ્ચિમ એશિયાથી ભારતીય વિમાન કંપનીઓની આજે 50 ફ્લાઇટ્સ સંચાલિત કરવાની યોજના વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ઈરાનની મદદ કેમ નથી કરી રહ્યા હૂતી વિદ્રોહીઓ:9 દિવસ પછી પણ શિયા સૈનિકો યુદ્ધથી દૂર, સમર્થનમાં માત્ર નિવેદનો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં વરસાદ-બરફવર્ષાનું એલર્ટ:રાજસ્થાનમાં પારો 40Cને પાર, MPમાં 39C પહોંચ્યો; દિલ્હીમાં પણ તાપમાન 35Cને પાર નોંધાયું વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : યુદ્ધના માહોલમાં ભારતીયોની મદદે અબુ ધાબી BAPS મંદિર:ફસાયેલા લોકો માટે રહેવા-જમવાની સાથે સ્વદેશ પહોંચાડવાની વ્યવસ્થા કરી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ક્રૂડ ઓઇલના ભાવ સાડા ત્રણ વર્ષની ઊંચી સપાટીએ:અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધને કારણે 100 ડોલરને પાર, સરકારે કહ્યું-પેટ્રોલ-ડીઝલ મોંઘા નહીં થાય વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : જીત બાદ ધોનીએ ગંભીર માટે લખી એક ખાસ પોસ્ટ:સચિને કહ્યું, ઇનક્રેડિબલ વર્ક, ટીમ ઇન્ડિયા; કોહલી, મોદી સહિતનાં દિગ્ગજોએ વખાણ કર્યા વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : રામકૃષ્ણ પરમહંસની શીખ:જે દિવસે આપણું મન સુખ-સુવિધાઓ અને ધનથી હટીને ભગવાનમાં લાગી જશે, તે જ દિવસે સાચી શાંતિ મળશે વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકેસાપને બેગમાં ભરીને હોસ્પિટલ પહોંચ્યો યુવક રાજસ્થાનના અલવરમાં એક યુવક કોબ્રા સાપને બેગમાં ભરીને સરકારી હોસ્પિટલ પહોંચ્યો હતો. આ જ સાપે તેને હાથમાં બચકું ભરી લીધું હતું. સારવાર કરાવવાની ઉતાવળમાં યુવક બેગ ગાડીમાં જ છોડી ગયો હતો. આ દરમિયાન સાપ બેગમાંથી બહાર નીકળીને બીજી કારના એન્જિનમાં ઘૂસી ગયો હતો. બાદમાં રેસ્ક્યુ ટીમે તેને બહાર કાઢ્યો હતો. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. મોરેશિયસમાં ચાલતા જહાજમાંથી કેવી રીતે ગાયબ થયો સાર્થક:34 દિવસ પછી પણ કોઈ અતોપત્તો નથી, માતા બોલ્યા- કંપની કંઈક છુપાવી રહી છે 2. મંડે મેગા સ્ટોરી 200+ રન પણ જીતની ગેરેંટી નથી:નવી ટીમો-ખેલાડીઓએ દિગ્ગજોને પછાડ્યા, ભારતનું વર્ચસ્વ અકબંધ; કેમ યાદ રાખવામાં આવશે આ વર્લ્ડકપ 3. આજનું એક્સપ્લેનર:તેલથી ખિસ્સું ભરી રહ્યું છે રશિયા, હવે ભારતને પણ મોંઘા ભાવે વેચશે; અમેરિકા-ઈરાન જંગથી પુતિન કેવી રીતે બની રહ્યા છે 'વિનર', 5 ફેક્ટર્સ 4. ઓનલાઇન રિફંડ લેવા જતાં ખાતામાંથી ₹80 હજાર ઉપડી ગયા!:ગૂગલ પર કસ્ટમર કેરનો નંબર શોધવો મહિલાને ભારે પડ્યો, જાણો 'રિફંડ સ્કેમ'થી કેવી રીતે બચવું 5. Editor’s View: યુદ્ધની આગ હવે ઘર બાળશે:ત્રણ કારણથી ઇરાને દુનિયાનું ટેન્શન વધાર્યું, ભારતમાં અસર શરૂ, ખાડી દેશોમાં 90 લાખ ભારતીયો પર તલવાર લટકી 6. પારકી પંચાત : ઈસુદાન-ખવડની મુલાકાતે ગામ ગાંડું કર્યું:ડાયરામાં મૂકેલા મમરાની ચર્ચા ઉપડી, જીતુ વાઘાણીએ નેતાજીને ઇગ્નોર કર્યા!, સ્ટેજ પર મોં ફેરવી લેવાનો જબરો સંયોગ કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: કર્ક, સિંહ અને વૃશ્ચિક રાશિને વેપારમાં પ્રગતિ થશે, મેષ અને ધન જાતકોએ મુસાફરી ટાળવી વાંચો સંપૂર્ણ રાશિફળ
લ્યો બોલો!:ધો.12ના એકમાત્ર વિદ્યાર્થી માટે હળવદમાં કેન્દ્ર અપાયું, પરીક્ષાર્થી જ ન આવ્યો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. ત્યારે આજે મોરબી જિલ્લામાં એસ.એસ.સી. ધોરણ 10 ની પરીક્ષામાં સ્ટેન્ડર્ડ ગણિત 12 અને અંગ્રેજી 506 વિષયની પરીક્ષા લેવાઇ હતી. આ બંને વિષયોમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં 475 વિદ્યાર્થી નોંધાયેલા હતા. જેમાંથી 473 વિદ્યાર્થી પરીક્ષામાં હાજર રહ્યા હતા, જ્યારે સ્ટેન્ડર્ડ ગણિતના ગુજરાતી માધ્યમના 2 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. અંગ્રેજી વિષયમાં અને અંગ્રેજી માધ્યમમાં 100 ટકા હાજરી જોવા મળી હતી. તો બીજી તરફ હળવદની એક શાળામાં એક જ વિદ્યાર્થી માટે કેન્દ્ર અપાયું હતું અને એ જ વિદ્યાર્થી હાજર ન રહેતાં શાળા સંચાલકો ગિન્નાયા હતા. મોરબી જિલ્લામાં ધો.12માં સામાન્ય પ્રવાહના આંકડાશાસ્ત્ર વિષયની પરીક્ષામાં ગુજરાતી માધ્યમમાં 4516 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. તેમાંથી 4500 વિદ્યાર્થીઓ હાજર અને 16 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અંગ્રેજી માધ્યમમાં કુલ 209 વિદ્યાર્ થીઓમાંથી 207 વિદ્યાર્થીઓ હાજર અને 2 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ રીતે બંને માધ્યમને મળીને કુલ 4725 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 4707 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર અને 18 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. શિક્ષકો, સુપરવાઇઝર, સ્ટાફને હેરાનગતિમોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ધોરણ-12ની બોર્ડની પરીક્ષાના એક કેન્દ્રમાં અજીબો ગરીબ ઘટના સામે આવી છે. જેમાં હળવદના મંગલમ વિદ્યાલયનું જે પરીક્ષા કેન્દ્ર છે.એમાં એક જ વિદ્યાર્થી નોંધાયેલો છે. આ એક વિદ્યાર્થી માટે આખું પરીક્ષા કેન્દ્ર ફળવાયું છે. આ પરીક્ષા કેન્દ્રમાં સુપરવાઝર, સ્થળ સંચાલક સહિતનો સ્ટાફ, સીસીટીવી કેમેરા સહિતના પરીક્ષા માટે તમામ જરૂરી સાધનો ફાળવાયા છે. આ કેન્દ્રમાં પોલિટિક્સ (રાજનીતિ વિજ્ઞાન) વિષયની પરીક્ષા માટે માત્ર એક જ વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન હતું. પરંતુ તે વિદ્યાર્થી પણ પરીક્ષા આપવા આવ્યો જ ન હતો. પરિણામે, પરીક્ષા કેન્દ્રમાં શિક્ષકો, સુપરવાઇઝર અને સ્ટાફ હાજર હોવા છતાં કોઈ પણ વિદ્યાર્થીની હાજરી ન હોવાથી આ કેન્દ્ર ખાલીખમ રહ્યું હતું. આથી સંચાલક ખૂબ જ રોષે ભરાયા હતા. તેમણે કહ્યું કે, “સરકારી નાણાંનો અયોગ્ય ઉપયોગ થાય છે અને માસૂમ બાળકોના શિક્ષણની ગુણવત્તા પર અસર પડે છે. જો ફોર્મ ભર્યા છે તો પરીક્ષા આપવી જ જોઈએ , આવી બેદરકારી સહન કરી શકાય નહીં. તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓને ફોર્મ ભર્યા પછી પરીક્ષા આપવાની જવાબદારી નિભાવવા માટે ટકોર કરી હતી.
મોરબી જિલ્લામાં હાલ ધો.10, 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. એક તો આ બોર્ડની પરીક્ષા ખુદ જ આકરી કસોટી હોય ત્યારે જીવનમાં પણ અણધારી વિષમ પરિસ્થિતિ આવી પડે તો વિદ્યાર્થીઓ માટે આ બન્ને મોરચે લડવું કઠિન હોય છે. આમ છતાં કેટલાક વિદ્યાર્થીઓ આવી કસોટી સામે હિંમતભેર લડીને બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. અમુક વિદ્યાર્થીઓના પરિવારની આર્થિક અસમાનતાની ખાઈ એટલી ઉંડી હોય છે કે આ અભાવો વચ્ચે ભણવું પડકારજનક હોય છે. આમ છતાં વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસમાં ઓટ દીધી નથી. મને ભણાવવા પિતા જે મહેનતકરે છે તે એળે નહીં જવા દઉંમોરબીના ચામુંડાનગરમાં રહેતો જિજ્ઞેશ રમેશભાઈ મકવાણા હાલ ધો.10ની પરીક્ષા આપી રહ્યો છે. તેના પિતા રમેશભાઈ રીક્ષા ચાલક હોય સામાન્ય આવકમાં પરિવારનું ગુજરાન ચલાવવાની સાથે પુત્રીને સારી સ્કૂલમાં ભણાવી રહ્યા છે. જિજ્ઞેશ કહે છે કે, મારા પિતાએ મારા ઉપર ક્યારેય નંબર વન લાવવા પ્રેશર કર્યું નથી. પણ મને ભણાવવા માટે મારા પિતા જે મહેનત કરી રહ્યા છે. એને લેખે લગાડવા માટે હુંસારો દેખાવ કરીશ. વૃદ્ધાવસ્થા છતાં દાદી મારી ફી ભરેછે, મદદ કરવાની મારી ફરજસામાકાંઠે આવેલી સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા પ્રથમલલિતભાઈ વાઘેલાના પરિવારની આર્થિક પરિસ્થિતિસાવ ડામાડોળ છે. પિતા બીમારીનેકારણે કામ કરવામાં અસક્ષમ હોયકાકાની સાથે દાદીને પણ મજૂરી કામકરવું પડે છે. દાદી સફાઈનું કામ કરીપરિવારને મદદરૂપ થાય છે. જો કેપ્રથમને ભણવામાં ખૂબ જ રુચિહોવાથી ધો.9 સુધીમાં તેજસ્વી રહ્યા બાદ હવે સખતપરિશ્રમ કરીને ઉજ્જવળ પરિણામ મેળવવા ધો. 10નીબોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. દાદીના અવસાનના આઘાતજીરવીને પરીક્ષા આપીમોરબીના સામાકાંઠે સોઓરડી મેઈન રોડ ઉપરભઠ્ઠાવાળી લાઇનના નાકે રહેતી સમા માહિનસાજીદભાઈ શરુઆતથી જભણવામાં તેજસ્વી છે અને હાલ ધો.10 બોર્ડની એક્ઝામ આપી રહી છે.પેપર દેવા જાય એ પહેલા તેનાદાદીએ સદાને માટે આંખો મીંચીલીધી હતી. દાદીએ હું પરીક્ષામાં ખૂબઉંચા ગુણે ઉત્તીર્ણ થાઉં એવા સ્વપ્ન જોયા હતા.તેથીએમના સ્વપ્નને સાકાર કરવા કાળજે પથ્થર રાખીનેમહેનત કરીને બોર્ડની પરીક્ષા આપી રહી છું.
મોરબી જિલ્લાના છેવાડા વિસ્તાર ન્યુ નવલખી અને વર્ષામેડી વિસ્તારોમાં રહેતા શ્રમજીવી પરિવારોએ પીવાના પાણીની તીવ્ર અછત સામે આક્રોશ વ્યક્ત કરતાં મુખ્ય રોડ પર ચક્કાજામ કર્યો હતો. અંદાજે 300 થી વધુ પરિવારો છેલ્લા 6 મહિનાથી નિયમિત પાણી પુરવઠો ન મળવાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, શિયાળાની શરૂઆત સાથે જ છેવાડાના આ વિસ્તારમાં પાણીની સમસ્યા બુમરેંગ બની ગઈ છે. ઘણા પરિવારોને દૂર-દૂરથી પાણી લાવવું પડે છે, જેના કારણે મહિલાઓ અને બાળકોને ખાસ તકલીફ પડે છે. મોરબી પાણી પુરવઠા વિભાગને તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓએ પણ મામલે ધ્યાન દોર્યું છે અને તાત્કાલિક વ્યવસ્થા કરવાનું વચન આપ્યું છે. જોકે, સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે આવા વચનો અગાઉ પણ આવ્યા છે, પરંતુ લાંબા ગાળાનું સ્થાયી ઉકેલ નથી આવ્યો.આ ઘટના મોરબી જિલ્લામાં પાણી પુરવઠાની વ્યવસ્થા અને ઔદ્યોગિક વિસ્તારોમાં રહેતા શ્રમિકોની મૂળભૂત સુવિધાઓ અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. જલ જીવન મિશન જેવી યોજનાઓ હેઠળ નળ જોડાણ વધારવા અને નિયમિત પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ ફરી એકવાર તીવ્ર બની છે. જો કે પાણી પુરવઠાની જવાબદારી સંભાળતા કોન્ટ્રાકટર સ્થળ પર દોડી ગયા હતા અને તેમણે વહેલી તકે પાણી પુરું પાડવાની ખાતરી આપી હતી અને લોકોએ જે પીડા ભોગવી એ હવે નહીં ભોગવવી પડે તેવી ખાતરી મળ્યા બાદ લોકોએ ચક્કાજામ ખોલ્યો હતો. વર્ષામેડી સાથે સતત અન્યાય જ થાય છે વર્ષામેડી ગામમાં છેલ્લા કેટલાય મહિનાથી પાણી નથી મળતું. છેવાડાનું ગામ હોવાના કારણે ક્યારેય તંત્ર ધ્યાન આપતું નથી. અગાઉ રજૂઆત કરી, અલગ અલગ કચેરીમાં ધક્કા કર્યા હતાં છતાં કોઇ જ નિવેડો ન આવતાં જેના કારણે અમે અમારી માગ સરકાર સુધી પહોંચાડવા ચક્કાજામ કરવા મજબુર બન્યા છીએ જો તંત્ર અમારી વાત નહી સાંભળે તો ફરી રોડ બંધ કરી દેશું. > અમિતભાઇ ચાવડા, સ્થાનિક રહેવાસી. રોજ બહારથી પાણી લાવવું કેમ પોસાય?અમે ન્યુ નવલખીમાં રહીએ છીએ અહી કેટલાય મહિનાથી પાણી નથી મળતું પાણી પીવાથી લઇ ઘરકામના કામ માટે પાણી દુર આવવું પડે છે. હવે તો ઉનાળો આવ્યો આખો દિવસ પાણી વીના કેમ જીવવું અમે તંત્ર પાસે પાણી અપાઇ તેવી માંગણી કરીએ છીએ. > ભાનુબેન, સ્થાનિક મહિલા ગામમાં દોઢ કિમી દૂર સમ્પ હોવા છતાં પાણી ન મળતા વિતરણ વ્યવસ્થા સામે સવાલવર્ષામેડી અને ન્યુ નવલખી ગામની વચ્ચે દોઢ કિમી દુર પાણીનો સંપ આવેલ હોય જ્યાંથી ગામમાં નજીકના ઘર સુધી પાણી મળતું હોય પણ બાકીના વિસ્તારમાં પાણી વિતરણ કેમ નથી થતું તે સવાલ છે. ગામ લોકોના મતે સંપમાં જે પાણી વિતરણ માટે મોટર નથી, જેના કારણે આ લોકોને પાણી મળતું નથી. તેથી તો ખરેખર જો માત્ર એક મોટર વાંકે ગામ લોકો પાણી વિહોણા રહેતા હોય તો આ બાબતે તંત્ર દ્વારા તપાસ કરી પાણી ની વ્યવસ્થા ધરાઇ તેવી માંગ ઉઠી છે
વડીયાના મહિલા સરપંચની ધમકી:વિકાસ કામો પ્રગતિમાં હોય ત્યાં જશો તો ફરિયાદ કરી દઈશ
સાયલા તાલુકાની 3000ની વસ્તી ધરાવતા વડીયા ગામે છેલ્લા કેટલાક દિવસથી ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવતા વિકાસના કામોમાં ગેરરીતિ અને ગેર વ્યાજબી વાઉચરો બનાવતા હોવાના આક્ષેપ સાથે રજૂઆતો થવા પામી છે. વધુમાં નદી વિસ્તારમાં ચાલતા પાણીના સંપના કામ બાબતે અમરશીભાઈ હેમુભાઇએ ફોટા પાડેલા તો સરપંચ દ્વારા ફોન કરીને ધમકાવેલ કે કેમ કામ પર ગયેલા અને ફોટા પાડેલા છે. મજૂરો સાથે માથાકૂટ કરે છે. આ બાબતનો ગ્રામજનોએ ફોનમાં રેકોડિંગ હોવાનું જણાવ્યું હતું. અને મહિલા સરપંચે સાયલા પોલીસને લેખિત ફરિયાદ પણ આપી હોવાનું જણાવ્યું હતું. સરપંચ દ્વારા ખોટી ફરિયાદો કરી ગ્રામ પંચાયતના કામમાં ગેરરીતિ કરતા હોવાનું જણાવીને આ બાબતે યોગ્ય તપાસ કરવા ગ્રામજનો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં વડીયા ગામે ગ્રામ પંચાયતના સરપંચ જે કોઈ વિકાસના કામ ગામમાં શરૂ થવા પામ્યા છે. અને તે કામ બાબતની ગુણવત્તા અને તપાસ કરતા જાગૃત નાગરિકોને મહિલા સરપંચ તારાબેન મનુભાઈ વસાવા ધમકી આપતા હોવાના આક્ષેપો સાથે વડીયાના બાબુભાઈ ચતુરભાઈ, હમીરભાઈ ગોવિંદભાઈ, જોરુભાઈ ધીરુભાઈ, રણજીતભાઈ મનસુખભાઈ, કિરણભાઈ દુમાદિયા સહિતના ગ્રામજનોએ સાયલા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને મહિલા સરપંચ દ્વારા ધમકીઓ આપવામાં આવે છે. ગ્રામ પંચાયતના કામો પ્રગતિમાં હોય ત્યાં જવાનું નહીં અને જો તમે કોઈ નાગરીક કામ ઉપર આંટો મારવા જશો તો તમારી વિરૂધ્ધ પોલીસમાં લેખિત ફરીયાદ આપી દઈશ આવી ધમકી આપતા હોવાની લેખિત રજૂઆત કરી હતી. ગ્રામ પંચાયત દ્વારા અનેક કામોમાં ગેરરીતિ થતી હોવાની પણ રજૂઆતો પણ કરવામાં આવી હતી.
રણકાંઠાની બંજર અને ઉજ્જડ જમીનમાં જામફળ, આંબળા, ચિકુ, દાડમ, લીંબુ, બોર સહીત અંજીર, ઈલાયચી, લાલ ચંદનના છોડ વચ્ચે અબોલ પક્ષીઓનો ક્લરવ વચ્ચે જીવન જીવતા આધેડ દંપતીની કહાની એમના જ શબ્દોમાં..... સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલણપુર ગામની સીમમાં નર્મદા કેનાલના કિનારે બે વીઘા જમીનમાં પોતાનું ફાર્મ હાઉસ બનાવી હિમ્મતભાઈ પનારાએ પોતાના ફાર્મમાં 500 જામફળના ઝાડ, 30 આંબાના ઝાડ, 30 ચીકુના ઝાડ, 30 દાડમના ઝાડ, 30 લીંબુના ઝાડ, 30 બોરના ઝાડ ઉગાડ્યા છે. ઉપરાંત વિવિધ પ્રકારના ફળોના વૃક્ષોની જાતો જેમાં 7 રાયણ, 7 સંતરા, 7 મોસંબી, 7 સીતાફળ, 7 અંજીર, 20 નાળિયેરી, 7 આંબલા, 3 સેતુર, 3 ગુંદો, 3 તજ, 5 ઈલાયચી, 5 તજપત્તા (તમાલપત્ર), 3 સફરજન, 5 લાલ ચંદન, 2 ગોરસ આંબલી, 2 લક્ષ્મણ ફળ, 2 રામફળ, 2 હનુમાનફળ, 10 જાંબુડા સફળતા પૂર્વક ઉગાડ્યા છે. 66 વર્ષના હિમ્મતલાલ પનારા કહે છે કે, 50 % ફળો અમારા પક્ષીઓ માટે હોય છે. પહેલા અહીં પક્ષીઓની સંખ્યા શૂન્ય હતી. અને અત્યારે વિવિધ 20થી વધુ પ્રકારના 800થી 1000 જેટલા અબોલ પક્ષીઓ આવે છે. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા હિમ્મતભાઈ પનારાએ જણાવ્યું કે, અમદાવાદમાં ચિત્ર વ્યાયામ શિક્ષક તરીકે 2018માં નિવૃત થયા બાદ મારો શોખ છે કે કુદરત સાથે રહેવું અને પર્યાવરણ બચાવવુ. એમણે વધુમાં જણાવ્યું કે, અહીંયા મેં મારો જે બગીચો ઉછેર્યો છે, જે આજથી પાંચ વર્ષ પહેલા 15 એપ્રિલ, 2021 આ જગ્યામાં મેં પ્રવેશ કર્યો ત્યારે અહીં બાવળનુ જંગલ હતું. જેમાં અહીં મેં જમીન સરખી કરીને એમાં અત્યારે મેં 500 ઝાડ જામફળના ઉછેર્યા છે કે જેમાં એક એક ઝાડ ઉપર એવરેજ 10-15 કિલો જામફળ આવે છે વર્ષે, એ સિવાય ચિકુ, રાયણ, દાડમ, આંબા, જાંબુ, સફરજનના ત્રણ ઝાડ છે, જેમાં આ વર્ષે 300 નંગ સફરજન આવ્યા હતા. એ સિવાય ઈલાયચીના છોડ, તમાલપત્ર જે મસાલામાં વપરાય છે, એ પણ છે. લવિંગ અને તજના પણ છોડ છે, મરીના પણ વેલ છે, ખાવાના પાનની પણ વેલ છે, દ્રાક્ષની વેલ છે. એ સિવાય રામફળ, સીતાફળ, હનુમાનફળ, લક્ષ્મણ ફળ આ ચાર ફળ છે, જેમાં સીતાફળ એ તો કોમન છે, પણ આ ત્રણ જાતના ફળ એ આ વર્ષે મેં ઉગાડ્યા છે. શાકભાજીનું પણ જરૂર પૂરતું વાવેતર કરું છું હું શાકભાજીનું પણ જરૂર પૂરતું વાવેતર કરી લઉં છું. જેમાં મેં રીંગણ, પાપડી છે, ફ્લાવર, કોબીજ, મરચા, ટામેટા છે, આ બધુ હાલમાં છે. આ ફળ જે મારા ત્યાં થાય છે, એ બજારમાં વેચવા કરતા મારા મિત્રો અહીં આવે છે એમને ખવડાવવામાં મને રસ હોય છે.- હિંમતભાઈ પનારા રોજના 100 જાતના પક્ષી બગીચા પર નિર્ભર છે મેં પક્ષીઓનો પ્રેમ પણ જાળવી રાખ્યો છે, મારા ત્યાં અહીં રોજના 100 જાતના પક્ષી આ બગીચા પર નિર્ભર છે, જેમાં ચાર પાંચ જાતની ચકલીઓ છે, કાકા કૌઆ છે, આ બધા પક્ષીઓ મારા 100 જેટલા જામફળ ખાય છે, બગાડે છે એમાં પણ મને ખૂબ મજા આવે છે, એ પણ નેચરનો એક પાર્ટ છે.
આરોગ્ય સેવાઓની દયનીય સ્થિતિ:થાનગઢના નવાગામમાં 4,500ની વસ્તી વચ્ચે સબ સેન્ટરનું બિલ્ડિંગ જર્જરિત
થાનગઢ તાલુકાનું સૌથી મોટું ગામ ગણાતા નવાગામમાં આવેલું પીએચસી (PHC) સબ સેન્ટર હાલ ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે. બિલ્ડિંગ અતિ જર્જરિત હોવાથી આરોગ્ય કેન્દ્રને તાળા મારી દેવામાં આવ્યા છે. હાલમાં ગામના બાળકોના રસીકરણ અને સગર્ભા મહિલાઓની તપાસ જેવી મહત્વની કામગીરી સ્થાનિક શાળામાં કરવામાં આવી રહી છે. પાયાની સુવિધાઓના અભાવે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. 4,500થી વધુની વસ્તી ધરાવતા આ ગામમાં આરોગ્ય જેવી પાયાની જરૂરિયાત માટે લોકોએ વલખાં મારવા પડે છે. ગ્રામજનોની માંગ છે કે સબ સેન્ટરનું નવું બિલ્ડિંગ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે. જો નવું મકાન અને સુવિધાઓ ઉપલબ્ધ થાય તો રસીકરણ અને અન્ય સારવાર સમયસર મળી રહે. લોકમાંગ ઉઠી છે કે તંત્ર જાગે અને આ જર્જરિત મકાનની જગ્યાએ આધુનિક સુવિધાવાળું કેન્દ્ર ઉભું કરે. કોઈ બોર્ડ કે ડોક્ટરોના સંપર્ક નંબર પણ લખવામાં આવ્યા નથીઆયુષ્માન ભારત હેઠળ ચાલતા આ કેન્દ્રથી લોકોમાં રોષ છે. શાળામાં ચાલતી કામચલાઉ ઓપીડીનો કોઈ સમય નક્કી નથી. ત્યાં કોઈ બોર્ડ કે ડોક્ટરોના સંપર્ક નંબર પણ લખવામાં આવ્યા નથી. ગ્રામજનોની ફરિયાદ છે કે હોસ્પિટલના સમય વિશે જાણકારી ન હોવાથી તેમને વારંવાર ધરમધક્કા ખાવા પડે છે. જવાબદાર તંત્ર દ્વારા સામાન્ય સૂચના બોર્ડ મારવાની પણ તસ્દી લેવામાં આવી નથી.
સુરેન્દ્રનગર મહાપાલિકાની સોનાની લગડી સમાન સરકારી જમીનને લઈને એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે. વઢવાણ 80 ફૂટ રોડ પર કરોડોની કિંમતી જમીન હવે બંગલા કે અન્ય હેતુ માટે વાપરવાની તૈયારી ચાલી રહી હોવાના આરોપો ઉઠ્યા છે. મનપાની હદમાં વઢવાણ 80 ફૂટ રોડ પર સોનાની લંગડી સમાન જમીન આવેલી છે. પરંતુ હવે આ જ જમીન ઉપર મ્યુનિસિપલ કમિશનરનો સરકારી બંગલો બનાવવાની યોજના બનાવાઈ રહી હોવાનો આરોપ સ્થાનિક નાગરિકો અને સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ બાબતે મનપા દ્વારા હેતુ ફેરફાર અંગેની નોટિસ અખબારમાં પ્રકાશિત કરવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે. આ પ્રશ્ને વઢવાણ નગર પાલિકાના પૂર્વ પ્રમુખે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આ અંગે વિક્રમ દવેએ જણાવ્યું હતું કે શિક્ષણ અને જાહેર હિત માટે ફાળવેલી સરકારી જમીન ઉપર અધિકારીઓના બંગલા ઉભા કરવામાં આવશે તો સુરેન્દ્રનગર અને વઢવાણના નાગરિકો શાંતિથી બેસી નહીં રહે. જરૂર પડશે તો આ મુદ્દે જનઆંદોલન ઊભું કરવામાં આવશે. 3300 વાર જમીનની કિંમત 25 કરોડ આ જમીન 1995 ટીપી સ્કીમમાં પછાત વર્ગના શિક્ષણ હેતુ માટે હતી પરંતુ 25 કરોડની 3300 વાર જમીન એક સંસ્થાને આપવા વઢવાણ પાલિકાની ભાજપ બોડીએ 2014માં ઠરાવ કર્યો હતો. 2015માં પાલિકા પ્રમુખ વિક્રમ દવેએ આ ઠરાવ રદ કર્યો પરંતુ 2018માં ભાજપની બોડી આવતાં કમિશ્નરને અપીલ કરતાં વિક્રમ દવેનો ઠરાવ માન્ય રખાયો હતો. સયુંકત પાલિકામાં ભાજપ પસત્તા પર આવતા એ જ સંસ્થાને જમીન આપવા ઠરાવ થયો હતો પરતું પૂર્વ પાલિકા પ્રમુખ અને હાલ આપના પ્રદેશ પ્રવક્તા વિક્રમ દવે દ્વારા વાંધા અરજી કરાઈ હતી. હાલ વહીવટદાર શાસનમાં જમીન હેતુફેર માટે પ્રયાસ કરાયો છે તેનો પણ વિરોધની ચીમકી વિક્રમ દવેએ ઉચ્ચારી છે.
સુરેન્દ્રનગરમાં આંગણવાડી મહિલા ઓએ આઇસીડીએસ વિભાગમા લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ આંગણવાડી કાર્યકર આઇસીડીએસ આપેલી કામગીરી સરકારી પોગ્રામોમાં આંગણવાડી કેન્દ્રોમાં બાળકોની હાજરી, પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં જરૂરી એન્ટ્રી, તેમજ તમામ રજીસ્ટર કામગીરી ઓફલાઇન પદ્ધતિથી કરાય છે. નવા સાત જેટલા એપ્લિકેશનનો સરકાર દ્વારા અમલમાં મૂકી તે એફઆરએસ અને એવીટી એપ્લિકેશન તો કોઈ પણ રીતે બરાબર ચાલતા નથી. મોટાભાગનો સમય આ ડાટા એન્ટ્રીમાં જ પસાર થાય છે. સરકારે આપેલ મોબાઈલ ઘણા સમયથી બંધ હાલતમાં છે. પોતાના મોબાઈલથી તમામ ઓનલાઈન કામ કરી રહ્યા હતા. જે હવે હેંગ થવા લાગ્યા છે તે પણ ચાલતા નથી. કેન્દ્ર સરકાર દ્વારા દોઢ વર્ષથી રાજ્ય સરકારને 56 કરોડ રૂપિયા ગ્રાન્ટ આપેલ હોવા છતાં નવા મોબાઈલની વ્યવસ્થા થતી નથી. બજેટમાં પણ આટલી બધી કામગીરીમાં વધારો કરવા છતાં વેતન વધારો જાહેર કરવામાં આવ્યો નથી. હાલના સમયે એવીટી તેમજ અન્ય ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશનમાં સતત ટેકનિકલ ખામીઓ, લોગિન / પાસવર્ડ સંબંધિત મુશ્કેલીઓ, સર્વર સમસ્યાઓ, ઓટીપી, તથા એપ્લિકેશન યોગ્ય રીતે કાર્ય ન કરતી હોવાના કારણે, હાજર સંખ્યા કરતાં પણ ઓછા હેડ કાઉન્ટ દેખાડે છે. ખરેખર તો એફઆરએસમાં લાભાર્થીઓએ ખૂબ લાંબો સમય સુધી રાહ જોઈને ઊભા રહેવું પડે છે. ઓનલાઈન કામગીરી માટે બળજબરી ન કરવામાં આવે તેવી માંગ છે. જો તેમ છતાં પ્રેશર કરવામાં આવશે તો અમો આગળ ઉગ્ર આંદોલન કરવા મજબૂર થઈશું. આંગણવાડી વર્કર અને હેલ્પર છે મશીન તો નથી આંગણવાડી દ્વારા કદાપી કામનો ઇનકાર કરેલ નથી. સરકારના તમામ કાર્યક્રમમાં પણ સહયોગી બનેલ છે. આંગણવાડી વર્કર અને હેલ્પર એક મહિલા છે અને માનવ જીવ છે મશીન તો નથી જ. - પાયલબેન
PGVCL એક્શન મોડમાં:40 વીજ કનેક્શનના સીધા થાંભલામાં જોડાણ લીધા, રૂ. 45.12 લાખનો દંડ
પીજીવીસીએલ સુરેન્દ્રનગર વર્તુળ કચેરી દ્વારા વીજચોરી ડામવા માટે એક અભૂતપૂર્વ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં લીંબડી વિભાગીય કચેરીના ભાણેજડા ગામમાં ઇતિહાસમાં પ્રથમ વખત વીજ ચેકિંગ હાથ ધરીને તંત્રએ વીજચોરોમાં ફફડાટ મચાવી દીધો હતો. ભાણેજડા ગામમાં પ્રથમવાર વીજ ચેકિંગ, 101 ઘરમાંથી વીજચોરી પકડાઈ હતી જેમાં 40 કેસ તો સીધા જ જોડાણ વગરની વીજચોરીના હતા. કુલ રૂ.45.12 લાખનો દંડ કરાયો હતો. વીજ કંપની માટે અત્યાર સુધી આ વિસ્તાર વીજ તપાસના દાયરાથી બહાર રહ્યો હતો. આ ઓપરેશનને સફળ બનાવવા અધિક્ષક ઇજનેર એન. એન. અમીનની રાહબરી હેઠળ, પીજીવીસીએલ દ્વારા પોતાની કુલ 9 ટીમોમાંથી 20 ટીમ માત્ર આ એક જ ગામમાં તૈનાત કરવામાં આવી હતી. આ ઓપરેશનની ગંભીરતાને જોતા 13 એસઆરપી જવાનો, 21 પોલીસ કર્મી અને 4 વીડિયોગ્રાફરના કાફલા સાથે આ દરોડા પાડવામાં આવ્યા હતા. ભાણેજડામાં 189 જોડાણોની તપાસ દરમિયાન 32 વીજચોરીના કેસ પકડાયા હતા, જેમાં રૂ.14.72 લાખનો દંડ ફટકારાયો હતો. ભાણેજડા ઉપરાંત કોરડા, મોટા ભાડલા, હડાળા, દેવપરા અને ચુડા વિસ્તારમાં પણ સઘન તપાસ કરવામાં આવી હતી. સમગ્ર ઓપરેશન દરમિયાન કુલ 664 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી. કોરડા ગામમાં 161 જોડાણોની તપાસમાં 20 કેસ પકડાયા અને રૂ. 12.20 લાખનો દંડ અપાયો. સમગ્ર ઓપરેશનના અંતે કુલ રૂ. 45.12 લાખના દંડના બિલ ફટકારવામાં આવ્યા છે.
સસ્તા અનાજના દુકાનદારો લડાયક મૂડમાં:બાકી કમિશન અને વધારાની કામગીરી મુદ્દે અસંતોષ ફેલાયો
જિલ્લામાં લાભાર્થીઓને રાશન વિતરણ કરતી સસ્તા અનાજની દુકાનોના સંચાલકો હવે સરકારની નીતિઓ સામે ઉતર્યા છે. ફેરપ્રાઇઝ એસોસીએશનના નેજા હેઠળ દુકાનદારોએ કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું. દુકાનદારોની મુખ્ય રજૂઆત છે કે સરકાર દ્વારા તેમને માત્ર કમિશન એજન્ટ ગણીને કામગીરી તો લેવામાં આવે છે, પરંતુ તેનું યોગ્ય અને સમયસર વળતર ચૂકવવામાં આવતું નથી. જે મોંઘવારીના સમયમાં તેમના માટે આર્થિક સંકટ સમાન છે. અમારે દુકાનદારોને પોષણક્ષમ વળતર ન મળવાના કારણે અમે ખૂબ જ હાલાકી ભોગવવીએ છીએ. મળવા પાત્ર કમિશન સમય મર્યાદામાં મળે એ પરિપત્ર મુજબ પૂરતું મળે તેવી માંગ છે. દુકાન ધારકોની આર્થિક સ્થિતિ વિકટ બની છેરાજ્ય સરકાર અને કેન્દ્રનું કમિશન ત્રુટક આવે છે, નિયમિત મળતું નથી. સરકારની હાઇ સીબીડીસીની કામગીરી આપવામાં આવી તેનું વળતર કેમ નહીં. આમ કમિશન મળતું નથી. સરકારને રજૂઆત કરી છે કે મળવા પાત્ર કમિશનની સ્પષ્ટતા થવી જોઇએ. કમિશન અનિયમિતતાને કારણે દુકાન ધારકોની આર્થિક સ્થિતિ વિકટ બની ગઈ છે.- નારાયણભાઇ ચાવડા, સસ્તા અનાજ દુકાનદાર પ્રમુખ
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(યુપીએસસી) દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ જાહેર થતાં સુરેન્દ્રનગર જિલ્લામાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. મૂળીના કળમાદ ગામના ખેડૂત પુત્ર નરેન્દ્ર રાઠોડે 840 રેન્ક અને લીંબડીના આંગણવાડી કાર્યકરના પુત્ર જીતકુમાર નમ્હાએ 606 રેન્ક સાથે અખિલ ભારતીય સેવા માટે પસંદગી પામીને રાષ્ટ્રીય ફલક ઉપર ઝાલાવાડનું નામ રોશન કર્યું છે. લીંબડીમાં રહેતાં આંગણવાડીની મહિલા કાર્યકર રમીલાબેન નમ્હાના પુત્ર જીતકુમારે બીજીવાર યુપીએસસીની પરીક્ષા ક્રેક કરી છે. જીતના પિતાનું વર્ષ-2009માં અવસાન થયું હતું. વિધવા માતા, નાના, નાની, મામા, મામી સાથે રહીને ઉછરેલા જીતે નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો. જીતે જણાવ્યું કે, અલગ-અલગ જગ્યાએ નોકરી કર્યા પછી આઈઆઈટીનું 17 લાખનું પેકેજ છોડી સનદી સેવાની પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો હતો. દેશ દુનિયામાં બનતી સાંપ્રત ઘટનાઓ અને અન્ય બાબતોની જાણકારી માટે નિયમિત વાંચન કરવું જરૂરી છે. વર્ષ 2024માં આપેલી પરીક્ષામાં ચોથા પ્રયત્ને 929 રેન્ક મેળવ્યો હતો વધુ એક પ્રયાસ કરી સારો રેન્ક મેળવવાનું બીડું ઝડપ્યું હતું. દેશની સૌથી અઘરી યુપીએસસીની પરીક્ષા 929 રેન્ક સાથે પાસ કર્યા પછી 3 માસ RIMSમાં ફરજ બજાવી હતી. વધુ એક વખત સારો રેન્ક મેળવવા માટે ઈન્ડિયન રેલવે મેનેજમેન્ટ સર્વિસ કોર્સ છોડી દિલ્હી જઈ તૈયારી શરૂ કરી હતી. રોજ 14 કલાક વાંચન કરતો હતો. પરીક્ષા નજીક આવી એટલે વાંચનનો સમય વધારી દીધો હતો. ખુબ મહેનત બાદ લેવાયેલી યુપીએસસી 2025 પરીક્ષામાં પાંચમાં એટેમ્પટ અને ચોથી મેઈન્સમાં 606 રેન્ક સાથે પાસ કરી સફળતા મળી છે. જીતકુમાર નમ્હા, લીંબડી 500ના માસિક પગારે આંગણવાડીમાં નોકરી શરૂ કરી હતી પુત્રની સફળતા અંગે માતા રમીલાબેન વસંતભાઈ નમ્હાએ જણાવ્યું કે, મેં વર્ષ-2003માં રૂ.500ના પગારે આંગણવાડીમાં કામ શરુ કર્યું હતું. પુત્ર જીતે કારકીર્દીને ખૂબ ગંભીરતાથી લીધી છે. સમગ્ર પરિવારે અભ્યાસ માટે શાંત વાતાવરણ પૂરું પાડયું હતું જેમાં તેણે ખૂબ એકાગ્રતાથી અભ્યાસ કર્યો 929 રૅન્ક મેળવ્યા પછી વધુ એકવાર સારો રેન્ક લાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આખરે તેને જે નિશ્ચય કર્યો તેમાં સફળતા મેળવી છે.
સતવારા સમાજનો સમુહ લગ્નોત્સવ યોજાયો:લીંબડીમાં 2 હજાર લોકોએ 16 યુગલને આશિર્વાદ આપ્યા
લીંબડીમાં સતવારા સમાજનો 29મો સમુહ લગ્ન સમારોહ યોજાયો હતો. સંતો, મહંતો, રાજકીય, સામાજિક આગેવાનો સહિત 2,000 લોકો હાજરીમાં 16 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે ગુજરાત સમસ્ત સતવારા સમાજના પ્રમુખ શંકરભાઈ દલવાડીએ જણાવ્યું હતું કે શરૂઆતમાં લોકોને એવું હતું કે સમુહ લગ્નમાં દિકરી, દિકરાના પ્રસંગ કરીશું તો સમાજ શું કહેશે? પરંતુ હવે બધું જ બરાબર ચાલી રહ્યું છે. ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે અન્ય સમાજના લોકોએ પણ સમુહ લગ્નની પહેલ કરવી જોઈએ. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે દાતાઓના સહયોગથી 16 દિકરીઓને કરિયાવરરૂપે જીવનજરૂરીયાતની વસ્તુઓ આપવામાં આવી છે. મોટા મંદિરના મહંત લાલદાસબાપુ જણાવ્યું હતું કે હિન્દુ સંસ્કૃતિમાં લગ્નને પવિત્ર બંધન મનાય છે. સતવારા સમાજે 16 દિકરીઓને વેદ-વિધિથી લગ્ન કરાવ્યા તેનો આનંદ થયો છે. સમુહ લગ્ન પ્રસંગે સંતો, મહંતો, રાજકીય અને સતવારા સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે સુરેન્દ્રનગરના નવા 80 ફૂટ રોડ પર આવેલી બાપા સીતારામની મઢુલી ખાતે મારુતિ વસ્તી દ્વારા એક ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી ભાસ્કરભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના ઉદબોધનમાં ધર્મ, રાષ્ટ્ર અને સામાજિક ઉત્થાન માટે પંચ પરિવર્તન એટલે કે સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, સ્વદેશી અને નાગરિક કર્તવ્યના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે વર્તમાન સમયમાં સંગઠિત હિન્દુ સમાજની ભૂમિકા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમમાં ધ્રાંગધ્રા ગુરુકુલના વિવેકસાગર સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા, જ્યારે જાણીતા લોક સાહિત્યકાર ગોપાલભાઈ બારોટે પોતાની આગવી શૈલીમાં સાહિત્યિક રજૂઆત કરી કાર્યક્રમમાં ઉત્સાહ વધાર્યો હતો. આ સંમેલનમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા,
ધ્રાંગધ્રા-હળવદ હાઇવે ઉપર સોલડી ટોલનાકા નજીક દેહવ્યાપારમાં ગ્રાહક બાબતની રકઝક હત્યામાં પરીણમી છે. મૂળ કલકત્તાની યુવતીને છરીના ત્રણ ઘા મારતાં મોત નીપજ્યું હતું. પોલીસે ધોળીધારના યુવકને છરી સાથે ઝડપી લીધો હતો. સોલડી ટોલનાકા પાસે બાવળી રોડ ઉપર અવાવરૂ જગ્યામાં બે વર્ષથી દેહવ્યાપારનો ધંધો ચાલતો હતો. ધ્રાંગધ્રા કાપેલી ધાર વિસ્તારમાં રહેતો મેરૂભાઇ વીઠ્ઠલભાઇ વાઘેલા પણ અહીં યુવતી લાવીને ધંધો કરાવતો હતો. ગ્રાહક આવ્યા ત્યારે મેરૂભાઇએ કહ્યું કે, આ મારા ગ્રાહક છે. જેને લઇ બોલાચાલી થતાં (શકીનાબેન) નામ બદલેલ છે. મેરૂભાઇને બે થપ્પડ મારી દીધી હતી. આથી ઉશ્કેરાઇ છરી કાઢીને 3 ઘા મારતાં 30 વર્ષીય યુવતીનું મોત થઇ ગયુ હતું. બરડામાં 2 ઘા અને છાતીમાં દોઢ ઇંચનો ઘા છેક હ્દય સુધી પહોંચી જતાં જીવલેણ સાબિત થયો હતો. યુવતી અમદાવાદથી ઇકોમાં આવી હતીટોલનાકાની બાજુમાં આ ગોરખધંધા બે વર્ષથી ચાલતા હતા.યુવતીઓ રાત્રીના સમયે અમદાવાદથી ઇકો ગાડી લઇને આવતી હતી.સવારે પરત અમદાવાદ જતી રહેતી હતી. યુવતીઓ અવાર-નવાર બદલાતી રહેતી હતી. ગોરખધંધાને કારણે આજુબાજુના લોકો પણ ત્રાસી ગયા હતા. અંતે પાપનો ઘડો ફૂટી ગયો હતો.
ચોર સોનાનો દોરો ચોરી કરી ફરાર થયો:રિક્ષામાં વૃદ્ધા સાથે રકઝક કરી સોનાના દોરાની તફડંચી
પાલનપુર શહેરમાં એક વૃદ્ધા સાથે રિક્ષામાં બેઠા બાદ રકઝક કરી ધ્યાન ભટકાવી ગળામાં પહેરેલો સોનાનો દોરો ચોરી કરી ફરાર થઈ જતાં ફરિયાદ નોંધાઈ છે. પાલનપુરના ગોબરી રોડ પર આવેલી જનકપુરી સોસાયટીમાં રહેતા 70 વર્ષીય લાજવંતીબેન ગોપીચંદ વાસવાણી 7 માર્ચના રોજ સવારે સમાજના બેસણામાં હાજરી આપવા ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ ગઠામણ સર્કલ ખાતે આવેલી બનાસકાંઠા મર્કન્ટાઇલ બેંકમાંપાસબુકમાં એન્ટ્રી કરાવવા ગયા હતા. બેંકમાંથી બહાર આવી તેઓ ગઠામણ સર્કલ પાસે ફળની લારી નજીક ઉભા હતા ત્યારે આશરે સાડા દસ વાગ્યે એક તેઓ રિક્ષામાં બેઠા હતા. રિક્ષાની પાછળની સીટમાં પહેલાથી જ બે મહિલાઓ બેઠેલી હતી જ્યારે ડ્રાઈવર પાસે એક યુવાન બેઠેલો હતો. થોડીવારમાં રિક્ષાચાલકે તે યુવાનને પાછળ બેસાડી દીધો હતો. આ બાબતે વૃદ્ધાએ વિરોધ કરતાં રિક્ષાચાલકે બોલાચાલી શરૂ કરી હતી. રિક્ષાચાલકે વૃદ્ધાને રિક્ષામાંથી ઉતારી દીધા હતા.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:ભીલવણ નજીક વાહનની ટક્કરે ખેડૂતનું મોત નીપજ્યું
પાટણ–ડીસા હાઈવે પર ભીલવણ ગામ નજીક અજાણ્યા વાહનની ટક્કરથી એક ખેડૂતનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાયો હતો. હારિજ તાલુકાના કાંસીયાપુરા (માંસા) ગામના રહેવાસી રૂપસિંહજી જગમાલજી ઠાકોર (ઉ.વ. 41) ભીલવણ ગામે ખેતી કામ કરતા હતા. 7 માર્ચે સાંજે આશરે 7:00 તેઓ ભીલવણ ગામના બસ સ્ટેન્ડ નજીક પાટણ–ડીસા હાઈવે પર ચાલતા જતા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી ટક્કર મારતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. 108 મારફતે તેમને ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, તેમનું મોત થયું હતું. ઘટનાને પગલે પરિવારે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે તપાસ હાથ ધરી હતી.
અપહરણનો મામલો આવ્યો સામે:હિંમતનગરના બે ગામમાંથી બે સગીરાનું અપહરણ કરાયું
હિંમતનગર તાલુકાના બે ગામમાંથી બે બનાવમાં બે સગીરાનું અપહરણ થતાં એ ડિવિઝન અને ગાંભોઈ પોલીસમાં મોડાસા તાલુકાના અને મેઘરજ તાલુકાના યુવાનો સામે બે ફરિયાદ નોંધાવી હતી. રાયગઢથી હિંમતનગર તાલુકાના ગામની સગીરાનું મોડાસાના ડુઘરવાડા ખાતે રહેતો મીહીર મહેન્દ્રભાઈ પરમાર (મૂળ રહે. મુનાઈ તા.ભિલોડા) લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હોવા અંગે સગીરાના પિતાએ આશંકા વ્યકત કરતાં તેની સામે ગુનો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અપહરણના બીજા બનાવમાં હિંમતનગરના ગઢોડામાંથી મેઘરજ તાલુકાના પાણીબાર ગામનો જયેશ બામના નામનો યુવક 16 વર્ષ 11 માસની સગીરાનું લગ્ન કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હોવા અંગે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા તેની સામે હિંમતનગર એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.
ખેડતસીયા રોડ પર બનાવ:અહીં કેમ ઉભો છો કહી યુવક ઉપર લાકડી, ચપ્પુથી હુમલો
હિંમતનગરના ખેડતાસીયા રોડ પર મહાવીરનગરમાં ટ્રેક્ટર મૂકી તરબૂચ ટેટીનો ધંધો કરી રહેલ યુવકને અન્ય શખ્સે ટ્રેક્ટર લઈ આવી અહીં કેમ ઉભો છે આ જગ્યા અમારી છે ટ્રેક્ટર હટાવી લે કહી લાકડીઓ ફટકારી ચપ્પુ મારતાં દોડી આવેલ અન્ય બે જણાને લાકડીઓ ફટકારી હતી. મહાવીરનગરમાં એસબીઆઈના એટીએમ આગળ ટ્રેક્ટર ઉભું રાખી તરબૂચ ટેટીનો ધંધો કરી રહેલ વિશાલ વાઘેલા નામના યુવકને બીજું ટ્રેક્ટર લઈ આવેલા ગુલાબભાઈ મફાભાઈ વાઘેલા તેમની પત્ની શારદાબેન અને દીકરો રાહુલ ત્રણેય જણાએ તું કેમ અહીં ઉભો છે તારું ટ્રેક્ટર લઈ લે, આ જગ્યા અમારી છે તેમ કહી અપશબ્દો બોલતાં વિશાલે ના પાડતાં લાકડીઓ ફટકારી તરબૂચ કાપવાના ચપ્પુ વડે માથામાં ઘા કરી ઈજાઓ પહોંચાડી હતી. વિશાલને બચાવવા નજીકમાંથી દોડી આવેલ તેના મામા સુરેશભાઈ શંકરભાઈ વાઘેલા અને અતુલકુમારને પણ લાકડીઓ ફટકારી હતી. વિશાલ અને અતુલકુમારને માથામાં ઈજાઓ થઈ હોવાથી તેમને સારવાર અર્થે મોકલ્યા બાદ સુરેશભાઈએ ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી.
યુદ્ધની અસર:દૂધસાગર ડેરીમાં ગેસમાં 40% કાપથી બે પાવડર પ્લાન્ટ બંધ કરવા પડે તેવી સ્થિતિ
અમેરિકા–ઇઝરાયેલ દ્વારા ઈરાન સામે છેડાયેલા યુદ્ધના પગલે ખાડી દેશોમાં સર્જાયેલી પરિસ્થિતિના કારણે ગેસ સહિતના ઇંધણમાં શોર્ટેજની અસર જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા સહકારી સંસ્થાઓને આપવામાં આવતા ગેસ પુરવઠામાં 40 ટકા સુધી કાપ મૂકાતાં મહેસાણાની દૂધસાગર ડેરીના ઉત્પાદન પર તેની અસર થવાની શક્યતા ઉભી થઈ છે. હાલમાં દૂધસાગર ડેરીમાં દૈનિક 25.86 લાખ લિટર દૂધના પ્રોસેસિંગ માટે લગભગ 40 હજાર ક્યુબીક મીટર ગેસની જરૂરિયાત રહે છે, પરંતુ કાપ બાદ હવે માત્ર 24 હજાર ક્યુબીક મીટર ગેસ મળવાની સ્થિતિ છે. ડેરીમાં દૂધ પેશ્ચ્યુરાઈઝેશન, સ્ટીમ જનરેશન, મિલ્ક પાવડર, છાશ અને ઘી સહિતના ઉત્પાદનો માટે ગેસ આધારિત બોઇલરનો વ્યાપક ઉપયોગ થાય છે. મહેસાણા અને પાટણ જિલ્લો તેમજ અડધો ગાંધીનગર જિલ્લાને આવરી લેતી આ ડેરીમાં આવતા દૂધમાંથી રોજ આશરે 19 લાખ લિટર દૂધને પાંચ પાવડર પ્લાન્ટમાં પ્રોસેસ કરીને અંદાજે 200 ટન જેટલો મિલ્ક પાવડર બનાવવામાં આવે છે. ગેસ સપ્લાયમાં ઘટાડાને કારણે બે પ્લાન્ટ બંધ કરવાની સ્થિતિ સર્જાય તો મિલ્ક પાવડરનું ઉત્પાદન 200 ટનથી ઘટીને અંદાજે 150 ટન સુધી આવી શકે છે. દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું કે, તમામ પશુપાલકોનું દૂધ રાબેતા મુજબ લેવામાં આવશે. ગેસ પુરવઠામાં કાપ બાદ ડેરી પાસે ડ્યુઅલ બોઇલરની વ્યવસ્થા છે અને જરૂરી હોય તો ફર્નેસ ઓઈલ આધારિત બોઇલર શરૂ કરવાની વિકલ્પ વ્યવસ્થા અઠવાડિયામાં કાર્યરત થઈ જશે. જેથી મિલ્ક પાવડર સહિતનું ઉત્પાદન યથાવત્ રાખવાનો પ્રયાસ કરવામાં આવશે.
ભાસ્કર એનાલિસિસ:ધોરણ-10 સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર થોડું અઘરું નીકળતાં છાત્રોને માર્કસ ઓછા આવવાનો ડર
ધો. 10માં સ્ટાર્ન્ડડ ગણિતનું પેપર લેન્થી અને થોડું અઘરું પૂછતાં હોંશિયાર વિદ્યાર્થીઓને પણ ટકાવારી ઓછી આવવાનો ડર લાગી રહ્યો છે. જોકે,વિષય નિષ્ણાંતોનું કહેવું છે કે, પેપર લેન્ધી હોવાના કારણે ઘણા વિદ્યાર્થીઓ પેપર પુરુ નહીં કરી શકયા હોય જેથી માર્કસ ઓછા આવી શકે છે.જ્યારે ધો. 12માં ગણિતુનું પેપર એકંદરે સરળ રહેતાં 80 ઉપર માર્કસ છાત્રો મેળવી શકે છે. શારદા વિદ્યાલય વડાલીના શિક્ષક અરજણભાઇ પરમારે જણાવ્યુ હતું કે, એમસીક્યુમાં 24માંથી 24 લાવવા અઘરા, બી સી અને ડી વિભાગમાં 80 ટકા ચોપડીમાંથી પૂછાયું હતું. પરંતુ પેપર લેન્ધી હોવાના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી હોઇ શકે. જૈનાચાર્ય વિદ્યાલય હિંમતનગરના શિક્ષક ભીખાભાઇએ જણાવ્યું હતું કે, આ વખતે 80માંથી 80 લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થશે. હોંશિયાર વિદ્યાર્થીઓને 70 માર્કસ આવી શકે છે. ધો. 10ની પરીક્ષા આપી રહેલ સૌમિલે જણાવ્યું હતું કે, પેપર લેન્ધી હતું અને અપેક્ષા કરતાં થોડું ભારે હતું. તો વિદ્યાર્થિની શ્રેયા પટેલે જણાવ્યું હતું કે,એમસીક્યુ થોડા અઘરા હતા પેપર લેન્ધી હતું. ધો.12 સામાન્ય પ્રવાહમાં રાજ્યશાસ્ત્રના પેપરમાં 443 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે 7 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. આંકડાશાસ્ત્રના પેપરમાં 1735 હાજર અને 15 ગેરહાજર હતા. જ્યારે ધો. 12 વિજ્ઞાનપ્રવાહના ગણિતના પેપરમાં 825 વિદ્યાર્થીઓ હાજર હતા અને 4 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. ધો. 12 વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થી રોહને જણાવ્યું હતું કે, ગણિતના પેપરમાં એમસીક્યુ થોડા અઘરા હતા. જ્યારે પેપર એકંદરે સરળ હતું. અન્ય વિદ્યાર્થીની સંજનાએ જણાવ્યું હતું કે, પેપર ખૂબ સરળ હતું. એકાદ બે એમસીકયુને બાદ કરતાં એમસીક્યુ પણ સરળ હતા. હિંમત હાઇસ્કૂલ હિંમતનગરના ગણિતના શિક્ષક જયેશભાઇ બી.પટેલે જણાવ્યું હતું કે, એકંદરે પેપર સરળ હતું. એમસીક્યુમાં બે ચાર પ્રશ્નોને બાદ કરતાં બાકીના પ્રશ્નો ખૂબ સરળ હતા. વિદ્યાર્થીઓ 80 ઉપર માર્કસ મેળવી શકશે. પુસ્તક આધારિત પેપર હતું: શિક્ષકધોરણ 10 ગણિતના શિક્ષક કેશુભાઇ ચૌધરીએ કહ્યું કે, સ્ટાર્ન્ડડ ગણિતમાં પાંચેક એમસીક્યુ પ્રશ્નો વિદ્યાર્થીઓને વિચારતાં કરી દે તેવા પૂછાયા છે. સ્ટાન્ડર્ડ પ્રમાણે જ ગણિતનું સ્ટાન્ડર્ડ પેપર છે. શિક્ષક ભરતભાઇ પંચાલે કહ્યુ કે, ચાર થી પાંચ એમસીક્યુ પ્રશ્નોમાં વિદ્યાર્થીઓની ખરી કસોટી થઇ છે. જે પ્રશ્નોને સમજવા પડે તો જ ઉત્તર સુધી પહોંચી શકાય. બાકી પેપરના પ્રશ્નોમાં જનરલ વિકલ્પો હોઇ સરળ છે. પુસ્તક આધારિત પેપર છે.
SOGની કાર્યવાહી:મોડાસામાંથી બિલ વિનાના 14 ફોન સાથે શખ્સની ધરપકડ
અરવલ્લી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મોડાસાના લક્ષ્મી શોપિંગ સેન્ટરમાં આવેલી ગેલેક્સી મોબાઈલ નામની દુકાન પર દરોડો પાડી દુકાનમાંથી બિલ વગરના 14 મોબાઈલ કિં. 56હજાર જપ્ત કર્યા હતા. દુકાનદાર મો.સઈદ સિકંદરભાઈ પટેલ રહે. અલીના રેસીડેન્સી ભેરુંડા રોડ મોડાસા આ મોબાઈલ અંગેના કોઈ પણ માલિકીના બિલ કે પુરાવા રજૂ કરી ન શકતા પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ બીએનએસ સંહિતા 2023ની કલમ 35 (1)(ઇ) અને 106 મુજબ કાર્યવાહી કરી હતી.
ઇડરના કડીયાદરામાં પટેલ પરિવારે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતો પ્રેરણાદાયક નિર્ણય લીધો છે. સ્વ. જેશિંગભાઈ બેચરભાઈ પટેલના નિધન બાદ તેમના પરિવારે બેસણાના પ્રસંગે હાજર રહેલા લોકોને 1000 રોપાનું વિતરણ કરી ગ્રીન શ્રદ્ધાંજલિ અર્પી હતી. માહિતી અનુસાર, કડીયાદરાના વતની જેશિંગભાઈ બેચરભાઈ પટેલનું 6 માર્ચના રોજ અવસાન થયું હતું. પિતાના નિધનથી પરિવાર શોકમાં હોવા છતાં પુત્ર ગીરીશભાઈ પટેલ અને તેમના પરિવારે પિતાની યાદને જીવંત રાખવા માટે સમાજને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવાનો નિશ્ચય કર્યો હતો. તે મુજબ ગીરીશભાઈ પટેલે આશરે 18 હજારના ખર્ચે વિવિધ જાતિના 1000 છોડની ખરીદી કરી હતી. બેસણાના પ્રસંગે મોટી સંખ્યામાં સ્વજનો, સ્નેહીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન હાજર રહેલા દરેક વ્યક્તિને એક-એક છોડ અર્પણ કરાયો હતો. આ પ્રસંગે ગીરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે પિતાની સ્મૃતિમાં આપવામાં આવેલા આ છોડ તેમની જીવંત હાજરીનો અહેસાસ કરાવશે. કોઈ દેખાડા માટે નહીં, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી સમજાવવા માટે આ પ્રયાસ કરાયો છે. તેમણે સૌને પોતાના આંગણે આ છોડ રોપી તેનું સંતાન સમાન જતન કરવા અનુરોધ કર્યો હતો. બેસણામાં ઉપસ્થિત લોકોએ સહર્ષ સ્વીકારી હતી અને છોડનું સંરક્ષણ કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.
ભરૂચ શહેરના દશાશ્વમેઘ ઘાટ નજીક આવેલાં પૌરાણિક બળિયાદેવ મંદિરના વહીવટને લઇને વિવાદ ઉભો થયો છે. મંદિરના સૌથી જુના ટ્રસ્ટી જીવીત હોવા છતાં તેમને મૃત બતાવીને કેટલાક નવા ટ્રસ્ટીઓ બનાવી દેવામાં આવતાં જુના ટ્રસ્ટીએ સુરતના સંયુકત ચેરિટેબલ કમિશનરની કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેના સંદર્ભે કોર્ટે હાલ પુરતો સ્ટે આપી 2 એપ્રિલના રોજ સુનાવણી કરવા માટે નોટિસ જારી કરી છે. બળિયાદેવ મંદિરના સૌથી જૂના ટ્રસ્ટી તરીકે કાર્યરત અશ્વિન માસ્ટરે કરેલી ફરિયાદમાં જણાવ્યાં અનુસાર તેઓ બળિયાદેવ મંદિરમાં વર્ષોથી ટ્રસ્ટી તરીકે કાર્યરત છે પણ તેઓ મૃત્યુ પામ્યા હોવાનું દર્શાવીને મંદિરના ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટીઓ તરીકે નિમેષ નવીનચંદ્ર રાણા, હરેશ ડાહયાભાઇ રાણા, રમેશ મોહનભાઇ રાણા અને જીતેન્દ્ર ભગવતલાલ મોદીના નામ નવા ટ્રસ્ટીઓ તરીકે દાખલ કરવા માટે ભરૂચ ચેરીટી કમિશનરની કચેરીમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીને ગ્રાહ્ય રાખીને નવા ટ્રસ્ટીઓનો ઉમેરો કરવામાં આવ્યો હતો. નવા ટ્રસ્ટીઓએ હાલમાં મંદિરમાં પુજારી તરીકે કામ કરતાં ભગતસિંહ પરમારના સ્થાને નવા પૂજારીની વરણી કરી છે. અશ્વિન માસ્ટર પોતે જીવીત હોવા છતાં તેમની મંજૂરી વિના નવા ટ્રસ્ટીઓ બનાવી દેવામાં આવતાં સુરતના સંયુકત ચેરીટેબલ કમિશનરની કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં રજૂ થયેલાં દસ્તાવેજો અને પુરાવાઓના આધારે હાલના ચેરીટી કમિશનરે આપેલાં ચૂકાદા પર સ્ટે આપી દીધો છે. આખા મામલાની સુનાવણી હવે 2 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.
ભરૂચના ડુંગરી વિસ્તારમાં વાલ્વ બગડી જતાં હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહયો છે. થોડા સમય પહેલાં રૂા.2 કરોડના ખર્ચથી નવી ટાંકી બનાવવામાં આવી હતી. આ ટાંકીના વાલ્વમાં સમસ્યા ઉભી થતાં પાણીનો વેડફાટ થઇ રહયો હોવાની વિગતો સામે આવી છે. ભરૂચમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો.ડુંગરી વિસ્તારમાં ઓવરહેડ ટાંકીનો વાલ્વ ખરાબ થતા હજારો લીટર પાણી રસ્તા પર વહ્યું હતું ભરૂચ શહેરમાં ભર ઉનાળાની વચ્ચે અચાનક ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. શહેરના ડુંગરી વિસ્તારમાં આવેલી ઓવરહેડ પાણીની ટાંકીનો વાલ્વ ખરાબ થઈ જતા હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું. માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા પર પાણી વહેતા વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે ઉનાળાના સમયમાં પાણીની ભારે જરૂરિયાત હોય છે ત્યારે આ રીતે પાણીનો બગાડ થવો ચિંતાજનક બાબત છે. પાણી રસ્તા પર વહેતા લોકોમાં તંત્ર સામે આક્રોશ પણ જોવા મળ્યો હતો. મહત્વની વાત એ છે કે આ ઓવરહેડ પાણીની ટાંકી નલ સે જલ યોજના હેઠળ અંદાજે 2 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી હતી. છતાં વાલ્વ ખરાબ થતા પાણીનો વેડફાટ થયો હોવાના કારણે લોકો તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
હુકમ:વીજતંત્રની બેદરકારીના કેસમાં 12.75 લાખ ચૂકવવા આદેશ
ડોળાસા નજીકના બોડીદર ગામે વીજ શોક થી મૃત્યુ પામનારા યુવાન ના વારસદારો વળતર ચૂકવવા આદેશ કરાયો છે. ગીરગઢડાના બોડીદર ગામના સ્વ.પ્રતાપભાઈ માલાભાઈ વાળાનુ પી.જી.વી.સી.એલ. ની ઘોર બેદરકારી અને નિષ્કાળજી ના કારણે થયેલ મૃત્યુ થયું હતું. કોડીનારના એડવોકેટ પ્રતાપસિંહ વી.ચાવડા ધ્વારા મરણજનાર ના વારસદારો વતી મહે.જુનાગઢના જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમા ફરીયાદ કરાતા રૂા.12,86,800/- નુ 9% લેખે વ્યાજ સહીતનુ વળતર તેમજ રૂા.5,000/- ખર્ચ પેટે ચુકવવા કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. ગીરગઢડા તાલુકાના બોડીદર ગામના પ્રતાપભાઈ માલાભાઈ વાળાની સંયુકત માલીકીની જમીનમાં આવેલ પી.જી.વી.સી.એલ.નુ 10 કે.વી.નુ ટી.સી. આવેલ હોય અને આ ટી.સી. વીજ તંત્ર ની દેખરેદ વગર ભય જનક હતુ. અને પાવર લીક થતો હોય તા.21/6/2022 ના રોજ આ પ્રતાપભાઈ તેઓની વાડીએ ચાલીને જતા હતા. તેવા સમયે ટી.સી.ની બાજુમાથી પસાર થતા શોંટ લાગતા દૂર ફેંકાયા હતા. અને લોખંડ ના તાણીયા ઉપર પડતા ફરી પાછો શોઁટ લાગતા અકસ્માતે સ્થળ પરજ અવસાન થયું હતું.
નગરજનોમાં નારાજગી:ખેડામાં દોઢ મહિનામાં બીજીવાર પાણીની લાઈન તૂટતા હજારો લિટર પાણી વેડફાયુ
ખેડા નગરમાં કેટલાક સમયથી સ્થાનિક તંત્રની કામગીરીથી નગરજનોમાં નારાજગી જોવા મળી છે. સોમવારે બપોરે ખેડા નગરમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થતા હજારો લિટર પાણી રસ્તા પર વેડફાયું હતું. ખેડામાં વોર્ડ નં. 7માં સોમવાર બપોરે સરદાર માર્કેટ પાસે અચાનક પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લિટર પાણી રસ્તામાં રેલાયું હતું. બપોરના સમયે રોડ ઉપરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો નગરમાં વગર ચોમાસે ચોમાસા જેવી સ્થિતિ થતી સર્જાઈ હતી. સરદાર માર્કેટ પાસે પાણીની પાઇપ લાઇન લીકેજ થતા પાણીનો રેલો સરદાર માર્કેટ થી બજાર સુધી પહોંચ્યો હતો પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થવાનું કારણ જાણવા મળ્યું નથી. નગરજનો તેમજ આજુબાજુના ગામોમાંથી લોકો ખેડા ખાતે બજારમાં ખરીદી કરવા માટે આવતા હોય છે. પાણીની લાઈન તૂટી જતા હજારો લિટર પાણી વેડફાયુ પછી કેટલાક સમય પછી પાલિકાના કર્મચારીઓએ લાઇનમાં થયેલા ભંગાણની મરામત હાથ ધરી હતી. અડધો કલાકમાં પાણીની પાઇપલાઇનનો સાંધો પૂર્યો હતો. જોકે અડધો કલાકમાં હજારો લિટર પાણી વેડફાયું હતું. ખેડામાં વારંવાર પાણીની લાઇનમાં ભંગાણ થતું હોય છે. અગાઉ દોઢ મહિના પહેલા જ વડવાળી શેરીમાં પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું. જ્યારે પણ પાણીની પાઇપલાઇન તૂટે એટલે પાલિકા તેમાં સાંધાઓ પૂરીને સંતોષ માની રહી છે.
જ્યારે ગરમીનો પારો આસમાને પહોંચે છે, ત્યારે આપણે ઠંડા પાણી અને છાંયડાની શોધ કરીએ છીએ. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આકાશમાં ઉડતા એ નન્હા પક્ષીઓ ક્યાં જશે? આ પ્રશ્નનો સચોટ જવાબ આપ્યો છે અમિતભાઈ પટેલે. એક એવું વ્યક્તિત્વ જે પોતાનું કાર સર્વિસ સેન્ટર ચલાવવાની સાથે સાથે પ્રકૃતિના રક્ષક તરીકે પણ ફરજ નિભાવી રહ્યા છે. નવસારીના જલાલપોર વિસ્તારમાં થોડા દિવસ અગાઉ અમીતભાઇને ગોરખ આમલીના વૃક્ષ દેખાયા હતા. આ ઐતિહાસિક વૃક્ષ આશરે 2000થી 3000 વર્ષનું આયુષ્ય ધરાવે છે. આ વૃક્ષ વિલુપ્ત ન થાય અને તેની યોગ્ય જાળવણી થાય તેના માટે અમિતભાઇએ તેના ફળ એકત્ર કર્યા હતા. જેમાંથી અમુક ફળ વન વિભાગને છોડ બનાવવા માટે આપ્યા હતા અને અમુક ફળ પોતાની પાસે રાખી મુક્યા. જેમાંથી તેમણે ઉનાળાની કાળઝાળ ગરમીથી પક્ષીઓને રક્ષણ આપવા માટે માળા બનાવ્યા છે. આ માળા બનાવીને તેઓ અન્ય પર્યાવરણ પ્રેમી અને જેઓ ખરા અર્થમાં તેનો ઉપયોગ કરી શકે તેવા લોકોને આપી રહ્યાં છે. જેથી વધુમાં વધુ લોકો અબોલ પક્ષીઓની મદદ કરી શકે. આ માળા કુદરતી રીતે ઠંડા રહે છે, જે ઉનાળામાં પક્ષીઓના ઈંડા અને બચ્ચાને લૂ (ગરમ પવન) થી બચાવે છે. અમિતભાઇ માત્ર ઉનાળામાં નહીં પણ વર્ષ દરમિયાન પર્યાવરણને લગતી કામગીરીમાં સતત કાર્યરત રહી પર્યાવરણને ઉપયોગી થવાના પ્રયત્નો કરતા રહે છે. પ્લાસ્ટિક વેસ્ટનો સદુપયોગઅમિતભાઈ માત્ર પક્ષીઓ જ નહીં, પણ વધતા જતા પ્લાસ્ટિક પ્રદૂષણ સામે પણ લડી રહ્યા છે. તેમના સર્વિસ સેન્ટર પર એકત્ર થતી નકામી પ્લાસ્ટિકની બોટલોને કચરામાં નાખવાને બદલે તેઓ તેમાં સુંદર છોડ રોપે છે.આ રીતે તૈયાર થયેલા પ્લાન્ટ્સનું લોકોમાં નિઃશુલ્ક વિતરણ કરે છે. આ પ્રવૃત્તિ કોઈ એક દિવસ માટે નહીં, પરંતુ નિયમિત ધોરણે ચલાવે છે. જેનાથી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે.
હાલમાં ગેસના સિલિન્ડરમાં રૂ. 50ના વધારાનો લાભ લેવા એજન્સી દ્વારા ગ્રાહકોને ડિલિવરી ટાઇમ પર ન આપતા હોય ઓફિસમાં આવીને પોતાનો રોષ લોકો વ્યક્ત કરતા હોય છે. જેને જવાબ આપતા એજન્સીના કર્મચારીઓ ગ્રાહકોને સાંભળવા ને બદલે તેમની સાથે બોલાચાલી કરી ઓફિસનો માહોલ ગરમ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે. નવસારી શહેરમાં આવેલી એક ગેસ એજન્સીમાં દસ દિવસ પહેલા ઓનલાઈન બુકિંગ કરેલ ગેસનો સિલિન્ડર નહીં આવતા હોય જરૂરિયાત હોય તેઓ ગેસ એજન્સીમાં આવ્યા અને આક્રોશ ઠાલવ્યો કે 10 દિવસથી સિલિન્ડર આવ્યા નથી. આ બાબતે કહેવા જતા ગેસ એજન્સીના કર્મચારીઓ ઊલટાનું ગ્રાહક સાથે જીભાજોડી કરતા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. આ બાબતે ઓનલાઈન ડિલિવરી માટે બુકિંગ કરાવ્યું પણ કેમ ન આવતા તે બાબત જાણવા ગ્રાહકોની લાઇન લાગી હતી. 23 ફેબ્રુઆરીએ બુકિંગ કરાવ્યા બાદ પણ 7 માર્ચ સુધી સિલિન્ડર ઘરે ન આવ્યોઅમે તો.23 ફેબ્રુઆરીના રોજ ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું પણ તા.7 માર્ચ છતાં સિલિન્ડર ઘરે આપવા ન આવ્યા. અમારે હવે શું કરવું. ગેસ એજન્સીમાં આવ્યા તો ડિલિવરી કરવાવાળા માણસ રજા પર છે એમ જવાબ આપે છે તો અમારે કરવાનું શું ? ડિલિવરીની જવાબદારી ગેસ એજન્સીની હોય છે. રજૂઆત કરવા જતા ઉગ્રતાથી વાત કરે છે. હાલમાં ભાવ વધારો થવાનો હોય અમને તકલીફ પડશે તેમ ગેસ એજન્સીના ગ્રાહકોએ જણાવ્યું હતું.
ગણદેવી શહેરમાં રખડતા શ્વાનોએ તાજેતરમાં બે માસૂમ બાળકો પર હુમલો કર્યો હતો, જેમાં એક બાળકને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં 17 ટાંકા લેવા પડ્યા હતા. બીજી તરફ, છેલ્લા ત્રણ મહિનામાં સરકારી હોસ્પિટલમાં કુલ 153 ડોગ બાઈટના કેસ નોંધાતા સમસ્યા ગંભીર બની છે. ગણદેવીના ખત્રીવાડ વિસ્તારમાં જળદેવી માતા મંદિર નજીક 5 વર્ષીય માસૂમ બાળક પર એક શ્વાને અચાનક હુમલો કરી તેની ગરદન પાછળ બચકું ભર્યું હતું. જ્યારે બીજા બનાવમાં વડા તળાવની પાળ નજીક એક 5 વર્ષીય બાળકના માથાના ભાગે શ્વાને બચકાં ભરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને 17 ટાંકા લેવા પડ્યા હતા. ગણદેવી સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્રના આંકડા મુજબ ગત ડિસેમ્બર મહિનામાં 55, જાન્યુઆરીમાં 58 અને ફેબ્રુઆરીમાં 40 મળી કુલ 153 ડોગ બાઈટના કેસ નોંધાયા છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં નોંધાતા કેસ આ આંકડા કરતાં વધુ હોવાની ચર્ચા છે.
ચીખલી તાલુકામાં છેલ્લા કેટલાક વર્ષોથી દીપડાઓની હાજરી અને પશુઓ પરના હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. ખાસ કરીને ચોમાસા બાદ શેરડીની કાપણી સમયે ખુલ્લા ખેતરો થતાં દીપડા ખોરાક અને પાણીની શોધમાં રહેણાંક વિસ્તારો તરફ વળે છે. સાદકપોર જેવી ઘટનાઓ, જ્યાં દીપડાના હુમલામાં મહિલાએ જીવ ગુમાવ્યો, સ્થાનિકોમાં ભયનો માહોલ પેદા કરે છે. ખેડૂતો અને શ્રમિકો માટે ખેતરમાં જવું હવે જોખમી બન્યું છે. હવે ચીખલી વિસ્તાર માત્ર દીપડાઓનો ભ્રમણ માર્ગ જ નહીં, પણ તેમનું કાયમી વસવાટ અને પ્રજનન સ્થળ પણ બની ગયું છે. બોડવાંક ગામે શેરડીના ખેતરમાંથી મળી આવેલા નવજાત બચ્ચા આ વાતની સાબિતી છે. વન વિભાગ દ્વારા પકડાયેલા દીપડાઓને વાંસદા નેશનલ પાર્કમાં છોડવામાં આવે છે, પરંતુ ત્યાં પૂરતા ખોરાક-પાણીના અભાવે તેઓ ફરી માનવ વસ્તી તરફ સ્થળાંતર કરે છે. નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની મધ્યમાં અદ્યતન રેસ્ક્યુ સેન્ટર બનાવવું અનિવાર્ય છે. આ સેન્ટરમાં ઇજાગ્રસ્ત દીપડાઓ માટે અલગ કંપાર્ટમેન્ટ, ડોક્ટર રૂમ, ફૂડ સ્ટોરેજ અને પીએમ રૂમ જેવી વ્યવસ્થા હોવી જોઈએ. પશુપાલકોને થતા આર્થિક નુકસાન સામે ત્વરિત વળતર અને પૂરતા પાંજરાની ઉપલબ્ધતા જરૂરી છે. જો સમયસર વૈજ્ઞાનિક ઢબે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે, તો માનવ અને વન્યજીવ બંનેની સલામતી જોખમમાં મુકાતી રહેશે. લેપર્ડ પાર્કનું નિર્માણ ક્યારે?દીપડાઓના સંરક્ષણ-સર્વધન માટે વન વિભાગ દ્વારા રેસ્ક્યુ સેન્ટર ઉપરાંત જંગલ વિસ્તારમાં લેપર્ડ પાર્કનું પણ નિર્માણ કરવામાં આવે તે ઇચ્છનીય છે. આ પાર્કમાં દીપડાઓ સ્વતંત્ર રીતે ટહેલી શકે, ફરી શકે અને મુક્તપણે હરવા ફરવા સાથે પૂરતી માત્રામાં ખોરાક, પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે આવા પાર્કના નિર્માણથી વનયજીવોના સંરક્ષણ સાથે ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળવા સાથે સ્થાનિકોની રોજગારીમાં પણ વધારો થઈ શકે. બીજી તરફ જંગલ સિવાય ચીખલી સહિતના વિસ્તારમાં માનવ વસ્તીમાં દીપડાઓની અવર જવર પણ ઓછી કરી શકાય તેમ છે. છેલ્લા ત્રણ વર્ષમાં દીપડાએ પશુ પર કરેલા હુમલાની આ છે વિગત ત્રણ વર્ષમાં પાંજરે પુરાયા તેની વિગત માનવ પર હુમલા
ચીખલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2026-27ના રૂ. 9.68 કરોડના અંદાજપત્રને બહાલી આપવામાં આવી હતી. સામાન્ય સભામાં ગોડથલ ગ્રામ પંચાયતના વિભાજનને પણ મંજૂરી આપવામાં આવી હતી. ચીખલી તાલુકા પંચાયતમાં પ્રમુખ રાકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ઉપપ્રમુખ રમેશભાઈ, કારોબારી અધ્યક્ષ દમયંતીબેન આહીર, પૂર્વ પ્રમુખ કલ્પનાબેન ગાવિત, ટીડીઓ ભાવનાબેન યાદવ, વિસ્તરણ અધિકારી હીનાબેન, દક્ષાબેન આહિર સહિતની ઉપસ્થિતિમાં યોજાયેલ સામાન્ય સભામાં વર્ષ 2026-27ના અંદાજપત્રમાં જાહેર બાંધકામ, શિક્ષણ, આરોગ્ય, પશુપાલન, કુદરતી આફતમાં સહાય સહિત વિવિધ જોગવાઈ સાથેના રૂ. 9,68,96,098ના અંદાજપત્રને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં સૌથી વધુ રૂ. 3.56 કરોડની બાંધકામ ક્ષેત્રે જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં સામાન્ય સભામાં ગોડથલ ગ્રામ પંચાયતના વિભાજનના ઠરાવને પણ બહાલી આપવામાં આવી હતી. સામાન્ય સભામાં ફડવેલના તાલુકા પંચાયત સભ્ય મહેશભાઇ એ ફડવેલમાં ગ્રામ પંચાયત કચેરીના અધૂરા બાંધકામ અંગે રજૂઆત કરી હતી. આ ઉપરાંત તાલુકા સભ્ય ધર્મેશભાઇએ મજીગામની દેસાઈવાડ સ્થિત પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડા તોડવાનો લાંબા સમયનો પ્રશ્નનું નિરાકરણ તેમજ સમરોલીમાં કુમારશાળાની સામે તાલુકા પંચાયત હસ્તકની ખુલ્લી જગ્યામાં ડ્રેનેજનું પાણી છોડી ફેલાતી ગંદકી બંધ કરાવવા માટે રજૂઆત કરી હતી. મજીગામની પ્રાથમિક શાળામાં લાંબા સમયથી જર્જરિત ઓરડા તોડવામાં ન આવતા અકસ્માતની ભીતિ સેવાઇ રહી હોય તેવા સંજોગોમાં ઓરડા તોડવાની બાબતને ગંભીરતાથી લેવામાં આવે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. સામાન્ય સભામાં તાલુકા સભ્ય વૈભવ બારોટ, હીનાબેન, નરેન્દ્રભાઇ, સ્નેહલભાઈ નાયક, દક્ષાબેન, હબીબાબેન, જગનભાઈ દેશમુખ, જીગ્નેશ ગાવિત ઉપરાંત વિરોધ પક્ષના નેતા ભીખુભાઇ ગરાસિયા સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.
અકસ્માતની ભીતિ સર્જાઈ:ખારેલથી ચીખલી જતા હાઇવે પર સફાઇને અભાવે અકસ્માતનો ભય
ગણદેવી તાલુકામાંથી પસાર થતા ને.હા.નં. 48 પર આઇ.આર.બી. દ્વારા હાઇવેની ત્રીજી લાઈન, ડિવાઈડરની બાજુમાં અને ઓવરબ્રિજ પર યોગ્ય સાફ સફાઈને અભાવે કોઈ ગંભીર અકસ્માતનો ભય સેવાય રહ્યો છે. આઈ.આર.બી.પાસે સફાઈ માટે આધુનિક સાધનો હોવા છતાં આવી પરિસ્થિતિ સર્જાય છે જે એક ચિંતાજનક બાબત છે. ખારેલ હાઇવેથી ચીખલી હાઇવે સુધી હાઇવેની ત્રીજી લાઇનમાં રેતી-કપચીના થર જામેલા હોય છે, જેની સાફસફાઇ ન થતા કોઈ ગંભીર અકસ્માત થવાનો ભય સેવાય રહ્યો છે. એંધલ હાઇવે પર પણ નવસારી જતી લાઈન હાઇવે પર આવેલી આઈમાતા હોટલથી એંધલ બસ સ્ટોપ સુધી રેતી કપચીના એટલા થર જામેલા છે કે હાઇવે દેખાતો જ નથી. અહીં આઈ.આર.બી.ના કોઈ સફાઈ સ્ટાફ સાફસફાઈ કરતા નથી, જેને લઈને હાઇવે પરથી ગામમાં આવતા વાહન ચાલકો હાઇવેથી અંદર વળવા જેવી બ્રેક મારે તો વાહન સ્લીપ થઇ જવાના બનાવો બનતા રહે છે, જે આવનાર દિવસોમાં કોઈ મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. આ અંગે હાઇવેની સુંઠવાડ ઓફીસ ઉપર બેસતા ઇન્ચાર્જ અધિકારીને રૂબરૂ મળી હકીકતથી વાકેફ કર્યા હતા છતાં આ બાબતે બેદરકારી દાખવી રહ્યાં છે જેને લઈને આક્રોશ ફેલાયેલો જોવા મળે છે.
અમદાવાદમાં રમાયેલી રોમાંચક ટી-20 ફાઇનલ મેચનો ઉત્સાહ આખા દેશમાં હતો, ત્યારે નવસારીમાં પણ ક્રિકેટ પ્રેમીઓ માટે ઠેર-ઠેર સામુહિક સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ આયોજનના જશ ખાટવાની લ્હાયમાં ભાજપના એક સ્થાનિક નેતાએ સોશિયલ મીડિયા પર જે કરતૂત કરી છે, તે હવે શહેરમાં ચર્ચાનો વિષય બની છે. નવસારીના ઇતિહાસમાં પ્રથમવાર નવસારી મહાપાલિકા દ્વારા લુન્સીકૂઇ મેદાનમાં એલઇડી સ્ક્રિન મૂકીને શહેરીજનો માટે મેચ નિહાળવાનું આયોજન કરાયું હતું. હજારોની મેદનીએ અહીં મેચ માણી હતી. બીજી તરફ, ભાજપ યુવામોરચાએ પણ વિવિધ સ્થળોએ સ્ક્રિનિંગ રાખ્યું હતું. વિવાદ ત્યારે વકર્યો જ્યારે નવસારી જિલ્લા યુવા મોરચાના મહામંત્રી ઉમંગ દેસાઇએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આયોજનની વિગતો શેર કરી. આ પોસ્ટમાં તેમણે લખ્યું કે, ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના આયોજન મુજબ દરેક તાલુકા અને શહેર મથકે લાઈવ પ્રસારણ કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ લખાણની સાથે ઉમંગ દેસાઇએ જે તસવીરો અપલોડ કરી તેમાં મનપા આયોજિતના કાર્યક્રમના ફોટા પણ જોડી દીધા હતા. હાઇકમાન્ડને પ્રભાવિત કરવાની આંધળી દોટ પ્રદેશ નેતાગીરી અને હાઇકમાન્ડ સામે પોતાની ઇમેજ સુધારવા અને પોતાની તાકાત બતાવવા માટે સ્થાનિક નેતાઓ સરકારી કે સ્વાયત્ત સંસ્થાના કાર્યક્રમોને પણ પોતાના નામે કરી દેતા અચકાતા નથી. લુન્સીકૂઇના ભીડવાળા ફોટા મૂકીને હાઇકમાન્ડને પ્રભાવિત કરવાનો આ ખેલ હવે સોશિયલ મીડિયાના કારણે ચર્ચાની એરણે ચડ્યો છે.
કુખ્યાત પાર્સલ કાંડ''માં સંકળાયો નવસારીનો યુવક:નવસારીનો યુવક અમેરિકામાં ડોલર અને સોના સાથે ઝડપાયો
મૂળ નવસારીના અને હાલ અમેરિકાના આર્લિંગ્ટનમાં સ્થાયી થયેલા 24 વર્ષીય ગુજરાતી યુવક અનુજ આશિષભાઈ મોદીની ટેક્સાસ પોલીસે મોટી માત્રામાં રોકડ અને સોનાના જથ્થા સાથે ધરપકડ કરી છે. સ્મિથ કાઉન્ટીમાં બનેલી આ ઘટનામાં યુવક અમેરિકામાં ચાલતા કુખ્યાત પાર્સલ કાંડ' અથવા સાયબર ફ્રોડના નેટવર્ક સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું છે. ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના જણાવ્યાનુસાર, અનુજ મોદી ઇન્ટર સ્ટેટ-20 હાઇવે પર પોતાની કાર હંકારી રહ્યો હતો. ડ્રાઇવિંગ દરમિયાન એક સેમી-ટ્રકની પાછળ જોખમી રીતે ઓછું અંતર રાખીને ગાડી ચલાવવા બદલ હાઇવે પેટ્રોલિંગ ટીમે તેને અટકાવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને કારમાંથી 1.20 લાખ ડોલર (અંદાજે ₹ 1 કરોડથી વધુ) રોકડા અને સોનાનો જથ્થો મળી આવ્યો હતો. આ યુવાન નવસારી જમીન દલાલનો પુત્ર છે અને તે અભ્યાસ માટે તાજેતરમાં જ અમેરિકા ગયો હતો પ્રાથમિક તપાસ મુજબ, આ મુદ્દામાલ તેણે લોંગવ્યૂની એક મહિલા પાસેથી કલેક્ટ કર્યો હતો. અમેરિકામાં હાલમાં સ્કેમર્સ વડીલોને ડરાવીને તેમના ઘરેથી કિંમતી વસ્તુઓ અને રોકડ મંગાવતા હોય છે, જેમાં અનુજ કુરિયર’ અથવા મની મ્યુલ' તરીકે કામ કરતો હોવાની આશંકા છે. હાલ પોલીસે તેની અટક કરી છે.
વિરોધ:500 વધુ નિવૃત્ત એસટી કર્મીઓ ધરણા માટે દિલ્હી જવા રવાના
ગુજરાત એસટી નિવૃત કર્મચારી સંઘ અમદાવાદના નેજા હેઠળ 500થી વધુ નિવૃત્ત એસટી કર્મચારીઓ પેન્શન બાબતે દિલ્હી જંતર મંતર પર યોજનાર ધરણાના કાર્યક્રમમાં ભાગ લેવા દિલ્હી રવાના થયા છે. પ્રાપ્ત વિગત મુજબ ગુજરાત એસટી નિવૃત કર્મચારી સંઘ કે જેના 18,000 થી વધુ સભ્યો છે. તેના દ્વારા સુપ્રીમ કોર્ટમાં હાયર પેન્શન મેળવવા દાખલ કરેલ સિવિલ એપ્લિકેશનમાં નં-1134/2018, તા.04/1 1/2022નો ચુકાદો કામદારોની તરફેણમાં આવ્યો છે. પરંતુ તેની અમલવારી ઇ.પી.એફ.ઓ. દ્વારા નહીં કરવામાં આવતા ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં અલગ અલગ સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનને રાષ્ટ્રવ્યાપી સ્વરૂપ આપવા મહારાષ્ટ્રના બલઢાણા ખાતે અશોકજી રાઉતના વડ પણ હેઠળ રાષ્ટ્રીય વ્યાપી આંદોલન તા.9,10,11-03- 2026ના રોજ દિલ્હી જંતર મંતર મેદાનમાં વિશાળ ધરણાનો કાર્યક્રમ આપ્યો છે. જેમાં દેશમાંથી ઇ.પી.એફ. 1995ના સભાસદો ભાગ લેવા પહોંચવાના છે. આ ધરણામાં ભાગ લેવા ગુજરાત એસટી નિવૃત કર્મચારી સંઘના પ્રમુખ નાનુભાઈ રાવલ મહામંત્રી, કે.કે.દુધાત્રાના વડપણ હેઠળ 500થી વધુ નિવૃત્ત કર્મચારીઓ રવાના થયા છે.
ફરિયાદ:લગ્નની લાલચ આપી યુવતી પર શખસનું દુષ્કર્મ
જામનગર શહેરની એક યુવતિ સાથે ફ્રેન્ડશીપ કર્યા બાદ લગ્નની લાલચ આપીને પરણિત શખસે એકાદ વર્ષથી અવાર-નવાર દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદથી ચકચાર મચી ગઈ છે અને શખસ નાશી છુટતા પોલીસે તેની શોધખોળ આરંભી છે. જામનગર શહેરના એક વિસ્તારમાં રહેતી આશરે 25 વર્ષની એક યુવતિ સાથે પવન ચક્કી વિસ્તારમાં રહેતો આકાશ પ્રકાશભાઈ કનખરા નામના શખ્સે સૌ પ્રથમ ફ્રેન્ડશીપ કરી હતી. જે બાદ પોતે પરણીત હોવાનું છુપાવીને યુવતિને લગ્ન કરવાની લાલચ આપી હતી, અને તેણી સાથે શારીરીક સબંધ બાંધ્યો હતો. પાછળથી યુવતીને માલુમ પડયું હતું કે આકાશ પરણીત છે, અને પોતાની સાથે છેતરપિંડી કરી છે. જેથી તેણે આખરે આ મામલાને સીંટી એ. ડિવિઝન પોલીસ પથકે પહોંચાડ્યો હતો. જ્યાં યુવતીની ફરિયાદના આધારે આકાશ કનખરા સામે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ પી.આઈ. એન.એ. ચાવડાએ ગુનો નોંધ્યો હતો. પોલીસે યુવતીને તબીબી પરીક્ષણ માટે જી.જી.હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. તો ફરિયાદની જાણ થતાં જ આરોપી નાશી છુટતા પોલીસે તેની સઘન શોધખોળ આરંભી છે. સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની પોલીસે તપાસ હાથ ધરી છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જામનગરમાં એક જ દવાના બે અલગ-અલગ ભાવ, મેડિકલ સ્ટોરની તપાસની અત્યંત જરૂર
લોકોના આરોગ્ય સાથે મહત્વપુર્ણ રીતે સંકળાયેલી દવાઓમાં દવા માફીયાઓ નફાખોરી અને લોકોને ખુલ્લી લૂંટ ચલાવી રહ્યા છે. તે દર્શાવતુ પુરાવા સાથેનો બનાવ સામે આવ્યો છે. આમા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. જેમાં એક જ દવાના બે અલગ-અલગ ભાવ અલગ-અલગ દુકાનોએથી લેવામાં આવે છે અને લોકોને છેતરવામાં આવી રહ્યા છે. જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા હરપાલસીંઘ તેજેન્દ્રસીંઘ નામના વ્યક્તિએ ગત તા.8 ફેબ્રુઆરીના રોજ શ્રીનાથજી સ્ટોરમાંથી હેપીયર કેપ નામની 15 દવાની સ્ટ્રીપ લીધી હતી. જેની કિંમત રૂ.246.84 વસુલવામાં આવી હતી. આ જ દવા તેને હિરા મેડીકલ સ્ટોરમાંથી બીજા દિવસે લીધી જેની કિંમત રૂ.329.12 વસુલવામાં આવી. એટલે કે રૂ.82.28 વધુ લેવામાં આવ્યા. હવે મોટા ભાગના લોકો દવાઓના ભાવ જોતા નથી અને મેડીકલ સ્ટોરવાળા જે કહે તે પૈસા આપી દે છે. આવી રીતે દવાઓમાં લોકો છેતરપીંડીના ભોગ બની રહ્યા છે. હરપાલસિંહ જાગૃત વ્યક્તિએ આ અગે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને ફરિયાદ કરી છે. પરંતુ તેમાં શું આવે છે તે સમય કહેશે. પરંતુ મેડીકલ સ્ટોરની આ ગોબાચારી સામે લોકોએ જાગૃત થવાની જરૂર છે. નિયમ મુજબ એમઆરપીથી ભાવ ન લઈ શકાય ડ્રગ્સ વિભાગના નિષ્ણાંતનું કહેવું છે કે, દવાઓના ભાવ અલગ-અલગ હોય શકે, અમુક લોકો ડીસ્કાઉન્ટ આપતા હોય, તેના કારણે આવુ થતું હોય છે. બાકી એમઆરપીથી એક પૈસો પણ વધારે ન લઈ શકે. જો લે તો ડીપીસીઓ મુજબ તેના પર કોર્ટ કેસ થઇ શકે.
મિશ્રઋતુ:ઉનાળાનો પ્રારંભ, તો વહેલી સવારમાં આછેરી ધુમ્મસ..
જામનગરમાં ઉનાળાના આરંભ સાથે જ સુર્યદેવતાના આકરા તાપથી લોકો બપોરના સમયે ગરમી અને તાપથી અકળાઈ ઉઠે છે. તો રાત્રિના તેમજ વહેલી સવારમાં અમુક વિસ્તારોમાં આછેરી ધુમ્મરસના કારણે વાતાવરણમાં આંશિક ટાઢોડું જોવા મળી રહી છે. જેથી મિશ્રઋતુના કારણે રોગચાળામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ઉનાળાનો પ્રારંભ થઈ ગયો હોય તેમ સુર્યદેવતાના આકરા મિજાજથી લોકો ગરમીમાં અકળાઈ ઉઠે છે. ત્યારે સોમવારે સવારે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન 33 ડિગ્રી નોંધાયું હતું. જેથી લોકો બપોરના સમયે ગરમીમાં અકળાઈ ઉઠ્યા હતા. તો લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું અને ભેજનું પ્રમાણ 67 ટકા અને પવનની ગતિ પ્રતિકલાકના 3 થી 10 કી.મી.સુધીની રહેવા પામી હતી. તો વહેલી સવારમાં અમુક પાણીવાળા વિસ્તારોમાં આછેરી ધુમ્મસ પણ જોવા મળી હતી. જેના કારણે દિવસે ગરમી અને રાત્રિના ઠંડકના કારણે મિશ્રઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે. મિશ્રઋતુના કારણે તાવ, શરદી અને ઉધરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે ઉનાળામાં રેકર્ડ બ્રેક ગરમી પડવાની જાણકારો તેમજ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવે છે. હાલ ઉનાળાના પ્રારંભ સાથે જ મહત્તમ તાપમાન 33 ડિગ્રીએ પહોંચી ગયું છે. તો માર્ચ મહિનો પુરો થતાં જ મહત્તમ તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાના અણસાર દેખાય રહ્યા છે.

38 C