SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
... ...View News by News Source

સોન તલાવડી ઝૂંપડપટ્ટીમાંથી 8 જુગારી ઝડપાયા:ભરૂચ એ ડિવિઝન પોલીસે દરોડા પાડી ₹32 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ શહેરના સોન તલાવડી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે દરોડા સ્થળેથી રોકડા રૂપિયા 11,000 અને ચાર મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 32,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા તમામ આરોપીઓ ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે જુગાર રમી કાયદાનો ભંગ કરી રહ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મારવાડી ટેકરા વિસ્તારના વિજય નિરંજન મારવાડી, બપ્પી અર્જુન મિશ્રા, જીજ્ઞેશ મનુ દેવીપૂજક, અમિત વસાવા, અજય વસાવા, ભરતકુમાર સુનિલકુમાર ચોપડા, સોયેબ મુનાફ સૈયદ અને નસરુદ્દીન મુનાફ સૈયદનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર પ્રતિબંધક અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:56 pm

અમરેલીમાં 13,500 દર્દીઓને આયુષ્માન કાર્ડથી નિઃશુલ્ક સારવાર:રૂ. 16.99 કરોડના ખર્ચે મોંઘી સારવારથી મળી મુક્તિ

અમરેલી જિલ્લામાં 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' (PM-JAY) હેઠળ 13,500 દર્દીઓને રૂ. 16.99 કરોડના ખર્ચે નિ:શુલ્ક આરોગ્ય સારવાર મળી છે. આયુષ્માન કાર્ડ સામાન્ય નાગરિકો માટે મોંઘીદાટ સારવારથી મુક્તિ અપાવવામાં સંજીવની સમાન સાબિત થયું છે. 'આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' વિશ્વની સૌથી મોટી જાહેર આરોગ્ય યોજના છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકોને રૂ. 10 લાખનું આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવે છે. આયુષ્માન કાર્ડ થકી સામાન્ય નાગરિકો સરળતાથી અને વિના વિલંબ વિવિધ પ્રકારની આરોગ્ય સારવાર મેળવી શકે છે. જિલ્લા વહીવટી તંત્રના સઘન પ્રયાસોને પરિણામે ચાલુ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન અમરેલી જિલ્લામાં 13,500 દર્દીઓએ આ યોજનાનો લાભ લીધો છે. તેમને કુલ રૂ. 16.99 કરોડની નિ:શુલ્ક આરોગ્ય સારવાર પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત, ચાલુ વર્ષે જિલ્લામાં કુલ 53,702 નવા આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે, જેનાથી વંચિત અને ગરીબ પરિવારોને આરોગ્ય કવચ મળ્યું છે. મોંઘીદાટ આરોગ્ય સારવાર ઘણીવાર ગરીબ પરિવારો, વંચિતો અને સામાન્ય નાગરિકોની પહોંચની બહાર હોય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, ભારત સરકાર દ્વારા વર્ષ 2018માં 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્યમાં સામાન્ય નાગરિકને સરળતાથી કેશલેસ સારવાર મળે અને સમગ્ર પરિવારને આરોગ્ય કવચનો લાભ મળે તે સુનિશ્ચિત કરવાનો છે. જે નાગરિકો પાસે હજુ આયુષ્માન કાર્ડ નથી, તેઓ નજીકની સરકારી હોસ્પિટલ અથવા કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈ જરૂરી દસ્તાવેજો સાથે નોંધણી કરાવી શકે છે. યોજના અંતર્ગત આવતી હોસ્પિટલોની યાદી PMJAY ની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:45 pm

નવસારીમાં કૃષિ વિભાગના દરોડા:ઔદ્યોગિક એકમોમાંથી સબસિડાઇઝ્ડ યુરિયાના સેમ્પલ લેવાયા

રાજ્યભરમાં ખેડૂતો માટે સબસિડાઇઝ્ડ યુરિયા ખાતરના ઔદ્યોગિક એકમોમાં ગેરકાયદેસર ડાયવર્ઝનને રોકવા કૃષિ વિભાગ સક્રિય બન્યું છે. આ રાજ્યવ્યાપી ઝુંબેશના ભાગરૂપે, નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વિવિધ ઔદ્યોગિક એકમો પર કૃષિ વિભાગની ટીમોએ દરોડા પાડી સઘન તપાસ હાથ ધરી હતી. કૃષિ વિભાગની ટીમોએ ચીખલીના માણેકપોર અને બામણવેલ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન યુરિયા ખાતરના શંકાસ્પદ જથ્થાના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ એકમોમાં ટેકનિકલ ગ્રેડ યુરિયાને બદલે ખેતી માટેના નીમ કોટેડ યુરિયાનો ઉપયોગ થતો હોવાની ફરિયાદો મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઔદ્યોગિક એકમો દ્વારા થતી આ ગેરરીતિ પાછળ મોટું આર્થિક કારણ જવાબદાર છે. ટેકનિકલ ગ્રેડ યુરિયાની બજાર કિંમત આશરે ₹35 થી ₹42 પ્રતિ કિલો છે, જ્યારે ખેતી માટેનું સબસિડાઇઝ્ડ યુરિયા સરકાર દ્વારા ખેડૂતોને માત્ર ₹6 પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે. આમ, કિલો દીઠ ₹30 થી ₹35 નો મોટો ફાયદો મેળવવા ઉદ્યોગો ખેડૂતોના સસ્તા યુરિયાની કાળાબજારી કરી રહ્યા છે. ઉદ્યોગો દ્વારા ટેકનિકલ ગ્રેડ યુરિયાને બદલે સબસિડાઇઝ્ડ યુરિયાના ઉપયોગની ફરિયાદો વધતા કૃષિ પંચે કડક વલણ અપનાવ્યું છે. વિભાગે જણાવ્યું છે કે, જો લેવાયેલા સેમ્પલના રિપોર્ટમાં એગ્રીકલ્ચર ગ્રેડ યુરિયાનો પુરાવો મળશે, તો સંબંધિત એકમો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેમના લાયસન્સ રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે. સુરત કૃષિ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર વિક્રમભાઈ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કૃષિ અને સહકાર વિભાગ દ્વારા 28, 29 અને 30 જાન્યુઆરી, 2026 દરમિયાન સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા દવા, ખાતર અને બિયારણ મળી રહે તે હેતુથી એક ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશના ભાગરૂપે, નવસારી જિલ્લાના માણેકપોર ગામે આવેલી શ્રી કેમિકલ કંપનીમાં આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ કંપની તેની પ્રોડક્ટ બનાવવામાં ટેકનિકલ ગ્રેડ યુરિયાનો ઉપયોગ કરે છે. હાલમાં યુરિયાના સેમ્પલિંગની કામગીરી ચાલી રહી છે અને ભવિષ્યમાં જરૂર પડ્યે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:44 pm

પાટણ પોલીસે વ્યાજખોરોથી મુક્તિ માટે લોન મેળો યોજ્યો:19 લાભાર્થીઓને 62.12 લાખની લોન અપાઈ, રાષ્ટ્રીયકૃત બેંકો સહભાગી

પાટણ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અને બેંકોના સહયોગથી લોન મેળાનું આયોજન કરાયું હતું. વ્યાજખોરોના વિષચક્રમાંથી સામાન્ય જનતાને બચાવવા અને સ્વરોજગાર માટે સરળતાથી ધિરાણ મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ મેળામાં 19 લાભાર્થીઓને કુલ 62.12 લાખ રૂપિયાની લોનનું વિતરણ કરવામાં આવ્યું. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી. કે. નાયીની સૂચના અને એલડીએમ પાટણના સહકારથી આ વિશેષ લોન મેળો યોજાયો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને વ્યવસાય કે રોજગાર માટે જરૂરી નાણાં બેંકો મારફતે સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો હતો. સામાન્ય રીતે, નાણાંની જરૂરિયાત સમયે લોકો ઊંચા વ્યાજે રૂપિયા લેતા હોય છે અને વ્યાજના વિષચક્રમાં ફસાઈ જાય છે. આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય અને જરૂરિયાતમંદોને અધિકૃત બેંકિંગ ચેનલ દ્વારા આર્થિક સહાય મળે તે માટે આ પહેલ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડા જેવી રાષ્ટ્રીયકૃત બેંકોએ સક્રિય ભૂમિકા ભજવી હતી. પોલીસ તંત્ર અને બેંકિંગ ક્ષેત્રના આ સમન્વયથી આગામી સમયમાં પણ જરૂરિયાતમંદોને વ્યાજખોરોથી બચાવવા માટે આ પ્રકારના લોન સહાય મેળાનું આયોજન ચાલુ રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:43 pm

રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો:સૌથી ઠંડુ શહેર નલિયા; 48 કલાકમાં તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો વધારો થશે

રાજ્યમાં થોડા સમયથી અનુભવાતી કડકડતી ઠંડીમાં હવે આંશિક ઘટાડો નોંધાવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. જોકે પવનની ગતિ યથાવત્ રહેવાની આગાહી કરવામાં આવી છે. દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ત્રણ દિવસ બાદ ફરી એક વખત તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે. વિવિધ શહેરોમાં નોંધાયેલું લઘુત્તમ તાપમાનછેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 12.8 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 11.6 ડિગ્રી, વડોદરામાં 13.8 ડિગ્રી, ભાવનગરમાં 15.2 ડિગ્રી અને ભુજમાં 11.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. દમણમાં 15.4 ડિગ્રી, ડીસામાં 11.3 ડિગ્રી, દીવમાં 11.9 ડિગ્રી અને દ્વારકામાં 14.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. 7 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુજ્યારે ગાંધીનગરમાં 14.5 ડિગ્રી, કંડલામાં 14 ડિગ્રી, રાજકોટમાં 10.5 ડિગ્રી અને સુરતમાં 14.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં 12.5 ડિગ્રી અને વેરાવળમાં 14.7 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન રહ્યું હતું. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું છે, જ્યાં લઘુતમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે ઓખામાં તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:40 pm

રખડતા શ્વાને ઓચિંતા આવી બાળકના પગે બચકું ભર્યું, CCTV:રસ્તા પરથી પસાર થતાં બાળક પર હુમલો કરી ઘૂંટણિયે પાડ્યું, બાળક ઉભો થાય તે પહેલા અન્ય ચાર શ્વાન તૂટી પડ્યા

વડોદરાના ગોરવા રિફાઇનરી રોડ પર આવેલી સહયોગ સોસાયટીમાં રખડતા શ્વાનોનો આતંક સામે આવ્યો છે, જ્યાં સ્કૂલે જઈ રહેલા માસૂમ બાળક પર એકસાથે ચાર શ્વાનોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ ભયાનક ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે, જેમાં જોઈ શકાય છે કે બાળક બચવા માટે ભાગે છે, પરંતુ શ્વાનો તેને નીચે પાડી દઈ બચકાં ભરે છે. સદનસીબે નજીક રહેલી મહિલા અને એક કારચાલકે સમયસૂચકતા વાપરી બાળકને બચાવી લીધું હતું, જોકે બાળકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત બાળકના પિતા, જે પોતે તબીબ છે તેમણે તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વિસ્તારમાં શ્વાનોનો ભારે ત્રાસ હોવા છતાં કોર્પોરેશન દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે વાલીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અચાનક પાછળથી એકબાદ એક ચાર શ્વાન તૂટી પડ્યાવડોદરા શહેરના શહેરના ગોરવા વિસ્તારમાં બનેલી આ ઘટનાના લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક મહિલા બે બાળકોને લઈને રસ્તા પરથી પસાર થઈ રહી છે. જે બાદ એક બાળક પાછળ દોડતું દોડતું તેમનની પાછળ જઈ રહ્યું છે. જે બાદ બાળક એક સ્કૂલના ગેટ પાસે પહોંચતા અચાનક પાછળથી એકબાદ એક એમ ચાર શ્વાન તૂટી પડ્યા હતા. બાળકને પહેલા એક શ્વાન જમણા પગ પર હુમલો કરે છે અને બાળક ઢળી પડે છે. બાદમાં એક બાદ એક 4 શ્વાન તૂટી પડ્યા હતા. રસ્તા પરથી પસાર થતા કારચાલકનો કાર રોકી બચાવવાનો પ્રયાસબાળકે જાતે ઉભો થવાનો પ્રયાસ કર્યો ત્યારે ફરી હુમલો કરતો શ્વાન CCTVમાં જોવા મળે છે જેના કારણે બાળક ઘૂંટણિયે પડી જાય છે. ત્યારે આગળ બાળકને લઈને જઈ રહેલા મહિલા અને ત્યાંથી પસાર થતો એક કારચાલક કાર રોકી બાળકને બચાવવાનો પ્રયાસ કરે છે. આ બાળકને સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બાળક ઈજાગ્રસ્ત થયો છે. આ ઘટનાને લઈ આસપાસના લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. 'શ્વાનનો ખૂબ આતંક છે, કોર્પોરેશન કાર્યવાહી કરે તેવી માગ'ઇજાગ્રસ્ત બાળકના પિતા ડો. ગોપાલ ગોંડલીયાએ જણાવ્યું હતું કે, મારી મમ્મી સાથે તે સ્કૂલમાં જતી હતો. દરમિયાન આગળ એના મિત્રો હોવાથી તે આગળ દોડ્યો અને મારા મમ્મી પાછળ રહી ગયા હતા. તેજ સમયે ચાર જેટલા શ્વાન હુમલો કરે છે. તેને બે જગ્યાએ ઇન્જરી થઈ છે. હું પોતે તબીબ હોવાથી મારા દવાખાને લઈ જઈને સારવાર આપી હતી. અહીંયા શ્વાનનો ખૂબ આતંક છે જેની સામે કોર્પોરેશન કાર્યવાહી કરે તેવી માગ છે. કોર્પોરેશનને જાણ કરતા તેઓ પકડવા આવ્યા હતા પણ પકડાયું નહોતું નજીકમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં પણ કૂતરાઓનો આતંક હોય તેવું સ્થાનિકોનું કહેવું છે. અહીંના રહીશોનું કહેવું છે કે, સવારે કૂતરાઓ વાહનો પાછળ દોડે છે. અહીંયાથી કોઈ પસાર થાય તો તેઓ પાછળ પડે છે. ત્યારે કોર્પોરેશન આ બાબતે ધ્યાન આપે અને સત્વરે શ્વાનને પકડી લે તેવી માગ કરી છે. આ સાથે સંગીતા સોસાયટીમાં રહેતા પ્રવિણસિંહે જણાવ્યું હતું કે, અહીંયા એક શ્વાનનો આતંક વધુ છે. જે બાબતે અમે કોર્પોરેશનને જાણ કરી છે, તેઓ પકડવા માટે આવ્યા હતા, પરંતુ પકડાતું નથી.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:40 pm

પાટણમાં માસ્ટર કીથી ચોરી કરનાર ઝડપાયો:2.76 લાખનો મુદ્દામાલ રિકવર, ગીઝર રિપેરિંગ બહાને ચાવી ચોરી

પાટણ શહેરના સિદ્ધચકની પોળમાં આવેલા એક બંધ મકાનમાં માસ્ટર કીનો ઉપયોગ કરીને લાખોની ચોરી કરનાર શખ્સને પાટણ એ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે. આરોપીએ અગાઉ આ ઘરમાં ગીઝર રિપેરિંગના બહાને ચાવી ચોરી હતી. પોલીસે આરોપી પાસેથી સોના-ચાંદીના દાગીના અને વાસણો સહિત કુલ રૂ. 2,76,400 નો મુદ્દામાલ કબજે કર્યો છે. મુંબઈ સ્થિત કુશલભાઈ મનોજભાઈ નવીનચંદ્ર સંઘવીએ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ મુજબ, પાટણ સ્થિત તેમના વડીલોપાર્જિત મકાનમાં 27/12/2025 થી 23/01/2026 દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે તાળું તોડ્યા વગર પ્રવેશ કરી સોનાની ચેઈન, ચાંદીના સિક્કા, પૂજાના સાધનો અને પિત્તળ-જર્મન સિલ્વરના વાસણોની ચોરી કરી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એફ.એસ.એલ. (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે પોલીસે પાટણના ચાયરીયા વિસ્તારમાં રહેતા 41 વર્ષીય જીતેન્દ્ર દિનેશભાઈ કાંતીલાલ મોદીને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, આશરે એક વર્ષ અગાઉ તે ફરિયાદીના ઘરે ગીઝર રિપેરિંગ કરવા ગયો હતો. તે સમયે તેણે ઘરની એક ચાવી ચોરી લીધી હતી. ફરિયાદી મુંબઈ રહેતા હોવાથી મકાન બંધ રહેતું હતું, જેનો લાભ ઉઠાવી આરોપીએ પોતાની પાસે રહેલી ચાવીથી ઘર ખોલ્યું હતું. ઘરમાં પ્રવેશ કર્યા બાદ તેણે લોખંડની તિજોરી અને કબાટ કાપવા માટે ઈલેક્ટ્રિક ગ્રાઇન્ડર મશીનનો ઉપયોગ કર્યો હતો. ચોરી કર્યા બાદ કોઈને શંકા ન જાય તે માટે તેણે પાટણ બજારમાંથી નવું તાળું લાવી ઘરને મારી દીધું હતું. આરોપીએ કબૂલ્યું છે કે તે છેલ્લા એક માસથી દિવસ કે રાત્રિના સમયે રેકી કરી ચોરી કરતો હતો. પોલીસે આરોપી પાસેથી 10 ગ્રામ સોનાની લગડી (કિંમત રૂ. 1,25,000), 400 ગ્રામ ચાંદી (કિંમત રૂ. 1,25,000), પિત્તળના તપેલા, થાળી અને વાટકા, જર્મન સિલ્વરના વાસણો તેમજ ચોરીમાં વપરાયેલ ઈલેક્ટ્રિક કટર સહિત કુલ રૂ. 2,76,400 નો મુદ્દામાલ રિકવર કર્યો છે. હાલમાં પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી આ ગુનામાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:30 pm

ગઢડામાં મતદાર યાદીમાંથી નામ કમી કરવાનો પ્રયાસ:કોંગ્રેસનો આરોપ: 1100થી વધુ લોકોના નામ કાઢવાનો પ્રયાસ

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં મતદાર યાદી મુદ્દે મોટો વિવાદ સામે આવ્યો છે. ગઢડા નગરપાલિકાના સદસ્ય સહિત ૧૧૦૦થી વધુ લોકોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે ફોર્મ નંબર-૭નો દુરુપયોગ થયો હોવાના આરોપ સાથે કોંગ્રેસે ગઢડા મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું છે અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, ગઢડા શહેરમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના વોર્ડ નંબર-૪ના સદસ્ય કુલસુમબેન ચૌહાણ સહિત અંદાજે ૧૧૦૦ લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવા માટે ખોટી રીતે ફોર્મ નંબર-૭ ભરવામાં આવ્યા હતા. આ મામલે નોટિસ મળતા જ કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારીયા સહિતના આગેવાનોએ આરોપ લગાવ્યો હતો કે, ખાસ કરીને કોંગ્રેસના મતદારોને નિશાન બનાવીને તેમને બંધારણથી મળેલા મતાધિકારથી વંચિત રાખવાનો પ્રયાસ કરાયો છે. તેમણે દાવો કર્યો કે એક ચોક્કસ ઓફિસમાંથી જ ફોર્મ નંબર-૭ ભરવામાં આવી રહ્યા છે અને આ એક પૂર્વયોજિત ષડયંત્ર છે. કોંગ્રેસે માંગ કરી છે કે ફોર્મ નંબર-૭ ભરવા આવેલા તમામ લોકોના CCTV ફૂટેજ તપાસવામાં આવે અને જવાબદાર તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે. બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારીયા અને ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણીએ ચીમકી ઉચ્ચારી હતી કે જો ખોટા ફોર્મ ભરનારાઓ સામે કડક કાર્યવાહી નહીં થાય, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:23 pm

મોરબી હાઈવે પર ટ્રક હડફેટે આધેડનું મોત:રોડ ક્રોસ કરતી વખતે અકસ્માત, ચાલક ફરાર

મોરબી-વાંકાનેર હાઈવે પર એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં રોડ ક્રોસ કરી રહેલા 54 વર્ષીય આધેડનું ટ્રક ડમ્પરની હડફેટે ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે મૃતકના ભત્રીજાની ફરિયાદના આધારે અજાણ્યા ટ્રક ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ધ્રોલ તાલુકાના નાના ગરેડીયા ગામના રહેવાસી મહેશભાઈ દેશુરભાઈ બરબચિયા (ઉં.વ. 54) રીઝલ્ટા હોટલ સામેથી જમવા માટે રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યા ટ્રક ડમ્પરના ચાલકે તેમને હડફેટે લીધા હતા. અકસ્માતમાં ટ્રકના ટાયર તેમના પેટ પર ફરી વળતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી, જે જીવલેણ નીવડી હતી. મૃતક મહેશભાઈ બરબચિયા પોતે ટ્રક ડ્રાઈવર હતા. તેઓ મોરબીથી નવસારી માલ ભરીને જવાના હતા. ટ્રકમાં માલ ભરવામાં સમય લાગી રહ્યો હોવાથી, તેઓ રોડ ક્રોસ કરીને જમવા માટે જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. આ બનાવ અંગે મૃતકના ભત્રીજા બ્રિજેશભાઈ હેમંતભાઈ બરબચિયા (ઉં.વ. 22) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટ્રક ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અકસ્માત સર્જ્યા બાદ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર ચાલકને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:22 pm

દિવાન બલ્લુભાઈ સ્કૂલના 6 વિદ્યાર્થી ગુમ થતા પોલીસ દોડતી થઈ:ઇન્સ્ટાગ્રામમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતાં શાળાએ માતા-પિતાને સાથે લાવવાનું કહેતા વિદ્યાર્થીઓ ભાગી ગયા, એક સબંધીના ઘરેથી મળ્યા

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલી દિવાન બલ્લુભાઈ સ્કૂલના 6 સગીર વયના વિદ્યાર્થીઓ ગઈકાલે(28 જાન્યુઆરી, 2026એ) મોડી સાંજે અચાનક ગાયબ થઈ ગયા હતા. વિદ્યાર્થીઓ ગાયબ થતા વાલીઓ અને સંચાલકો ચિંતામાં મુકાયા હતા. પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ કરીને લોકેશનના આધારે એક વિદ્યાર્થીને શોધ્યો જેના આધારે તમામ વિદ્યાર્થી એક વિદ્યાર્થીના સબંધીના ઘરેથી મળી આવ્યા હતા. ઈન્સ્ટાગ્રામ ગ્રુપમાં થયેલા ઝઘડા બાદ વિદ્યાર્થીઓ ગાયબ થયા હતા. બુધવારે સાંજે વિદ્યાર્થીઓ અચાનક ગુમ થયાદિવાન બલ્લુભાઈ સ્કૂલના 6 સગીર વિદ્યાર્થીઓ બુધવારે સાંજે અચાનક ગુમ થયા હતા જેથી પોલીસ અને વિદ્યાર્થીઓના પરિવારજનો દોડતા થયા હતા. સાંજે વિદ્યાર્થીઓના અચાનક ગાયબ થવાની જાણ શાળા સંચાલન દ્વારા પોલીસને કરવામાં આવતા મામલો ગંભીર બન્યો હતો. મોબાઇલ લોકેશનના આધારે વિદ્યાર્થીઓ મળ્યાઆ અંગે પાલડી પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી. તપાસ કરતા એક વિદ્યાર્થી પાસે મોબાઇલ ફોન હતો જેથી તે ફોનનું લોકેશન વેજલપુર વિસ્તારમાં આવેલા એક ઘરમાં મળતા ત્યાં તપાસ કરતા તમામ લોકો મળી આવતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. માતા-પિતાને સાથે લાવવાનું કહેતા વિદ્યાર્થીઓ ભાગી ગયાપોલીસે તપાસ કરતા તમામ 6 વિદ્યાર્થીઓ જે ઘર ખાતે મળી આવ્યા હતા તે ઘર એક વિદ્યાર્થીના સંબંધીનું હોવાનું બહાર આવ્યું હતું. સમગ્ર ઘટનાનું મૂળ કારણ વિદ્યાર્થીઓ વચ્ચે ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં થયેલો વિવાદ હતો. ઓનલાઈન ચેટ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેની જાણ શાળા સંચાલનને થઈ હતી. બાદમાં ઠપકો આપવામાં આવ્યો હતો અને માતા-પિતાને સાથે લાવવા સૂચના આપવામાં આવી હતી. આ ડરથી વિદ્યાર્થીઓ ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:21 pm

સાબરકાંઠા LCBએ 19 આરોપીઓને ઝડપ્યા:પોશીના પોલીસ સ્ટેશનના ધાડ-આર્મ્સ એક્ટ કેસમાં 11 વર્ષથી ફરાર હતા

સાબરકાંઠા LCBએ પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ધાડ અને આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા 11 વર્ષથી ફરાર 19 આરોપીઓને રાજસ્થાનના ઉદેપુર જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે. આ તમામ આરોપીઓને વધુ કાર્યવાહી માટે પોશીના પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ દ્વારા સાબરકાંઠા જિલ્લા, ગુજરાત રાજ્ય અને રાજ્ય બહારના ફરાર આરોપીઓને પકડવા માટે સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે 6 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2026 સુધી ફરાર આરોપીઓને પકડવા માટે એક વિશેષ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. આ ડ્રાઇવ અંતર્ગત, સાબરકાંઠા LCBના ડી.સી. સાકરિયાના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓની ટીમ અને પેરોલ ફર્લો સ્ક્વોડના અધિકારી PSI કે.સી. બ્રહ્મભટ્ટ તથા કર્મચારીઓની ટીમો બનાવવામાં આવી હતી. આ દરમિયાન, શૈલેષભાઈ અને પ્રદીપસિંહને બાતમી મળી હતી કે, પોશીના પોલીસ સ્ટેશનના ધાડ અને આર્મ્સ એક્ટના ગુનામાં 11 વર્ષથી ફરાર આરોપીઓ ઉદેપુર જિલ્લાના કોટડા તાલુકાના પાડલી ગામમાં ભૈરવ મહારાજની મૂર્તિ સ્થાપન પ્રસંગે પ્રાથમિક શાળા પાસે એકઠા થયા છે. આ બાતમીના આધારે LCB ટીમે સ્થળ પર પહોંચી તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં ખેતાભાઈ લાખાભાઈ બુંબડિયા (ઉ.વ. 60), ધનાભાઈ સાયબાભાઈ બુંબડિયા (ઉ.વ. 41), પુંજાભાઈ લલ્લુભાઈ બુંબડિયા (ઉ.વ. 43), બાબુભાઈ લાખાભાઈ બુંબડિયા (ઉ.વ. 63), ભીખાભાઈ લાખાભાઈ બુંબડિયા (ઉ.વ. 63), લલ્લુભાઈ લાખાભાઈ બુંબડિયા (ઉ.વ. 60), શ્રવણભાઈ ખેતાભાઈ બુંબડિયા (ઉ.વ. 46), સીનાભાઈ લાખાભાઈ બુંબડિયા (ઉ.વ. 60), સાયબાભાઈ લાખાભાઈ બુંબડિયા (ઉ.વ. 57), ચંદુભાઈ નાનાભાઈ બુંબડિયા (ઉ.વ. 34), જેઠાભાઈ ભુરાભાઈ બુંબડિયા (ઉ.વ. 75), નાણાભાઈ ઉર્ફે નાણીયા રેશ્માભાઈ બુંબડિયા (ઉ.વ. 36), ભુપતાભાઈ ઉર્ફે પોગતા નાનાભાઈ બુંબડિયા (ઉ.વ. 42), મનાભાઈ નાનાભાઈ બુંબડિયા (ઉ.વ. 45), રાણાભાઈ લીંબાભાઈ બુંબડિયા (ઉ.વ. 36), રેશ્માભાઈ નાનાભાઈ બુંબડિયા (ઉ.વ. 53), રાવાભાઈ જેઠાભાઈ બુંબડિયા (ઉ.વ. 34), રમેશભાઈ લીંબાભાઈ બુંબડિયા (ઉ.વ. 31) અને લીંબાભાઈ ભુરાભાઈ બુંબડિયા (ઉ.વ. 70)નો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના કોટડા તાલુકાના પાડલી ગામના રહેવાસી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:18 pm

ધાંગધ્રા-હળવદ હાઇવે પર ટ્રાવેલ્સ પલટી:બે મુસાફરો ઈજાગ્રસ્ત, મોટી જાનહાની ટળી

ધાંગધ્રા-હળવદ હાઇવે પર સોલડી ગામ નજીક એક ખાનગી ટ્રાવેલ્સ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બે મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, જોકે સદનસીબે મોટી જાનહાની ટળી હતી. 'જય ખોડીયાર' નામની આ ટ્રાવેલ્સ મોરબી-હળવદ-ધાંગધ્રા-સુરેન્દ્રનગર રૂટ પર દોડતી હતી. સોલડી નજીક ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રાવેલ્સ પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ ટ્રાવેલ્સમાં બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્ત થયેલા બે મુસાફરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ધાંગધ્રા-હળવદ હાઇવે પર અગાઉ પણ અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. આ હાઇવે પર વાહનચાલકોની બેદરકારી અને માર્ગ સુરક્ષાના અભાવને કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જે માર્ગ સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:17 pm

જામનગરમાં બેકાબૂ કાર પલટી, એક રાહદારી ઘાયલ:રણજીતસાગર રોડ પર ગ્રીન સિટી પાસે અકસ્માત

જામનગરમાં રણજીતસાગર રોડ પર ગ્રીન સિટી વિસ્તારમાં આજે વહેલી સવારે એક બેકાબૂ કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં મોર્નિંગ વોક કરી રહેલા એક રાહદારીને ઈજા પહોંચી હતી. જી.જે.10 ડી.એન.3091 નંબરની આ કારનો ચાલક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો. કાર રોડની વચ્ચેના ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી અને ઊંધી થઈ ગઈ હતી. અકસ્માત સમયે ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીને કારની ટક્કર વાગતા ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી કારનો ચાલક ઘટનાસ્થળેથી પોતાની કાર છોડીને ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:16 pm

સુરત બન્યુ બાંધકામ કચરાના રિસાયકલિંગમાં દેશનું પથદર્શક:સરકારી ટેન્ડરોમાં 20 ટકા રિસાયકલ સામગ્રીનો વપરાશ ફરજિયાત કરતું પ્રથમ શહેર

એક સમયે માત્ર હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે વૈશ્વિક સ્તરે જાણીતું સુરત શહેર આજે પર્યાવરણ જાળવણી અને કચરાના નિકાલમાં દેશનું પથદર્શક બની રહ્યું છે. રાજ્ય સરકારના 'અર્બન ડેવલપમેન્ટ વર્ષ' અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે 'ગ્રીન ગ્રોથ'ને પ્રાથમિકતા આપી છે. હવે સુરત માત્ર આર્થિક પાટનગર જ નહીં, પણ ‘ઝીરો વેસ્ટ સિટી’ તરફ મક્કમ ડગલાં માંડી રહ્યું છે. 2 વર્ષમાં 100 ટકા રિસાયકલિંગનું લક્ષ્ય વિકાસની હરણફાળ ભરી રહેલા સુરતે હવે ઘન બાંધકામ કચરા (CD Waste)ના 100 ટકા રિસાયકલિંગનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે. મહાનગરપાલિકા એવી વ્યવસ્થા ગોઠવી રહી છે કે આગામી 2 વર્ષમાં શહેરનો કોઈપણ બાંધકામ કચરો ડમ્પિંગ સાઈટ સુધી પહોંચવાને બદલે સ્થળ પર જ અથવા પ્લાન્ટમાં રિસાયકલ થઈ પુનઃ વપરાશમાં લેવાય. આ માટે કોસાડ ખાતે 300 મેટ્રિક ટન પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ PPP મોડલ હેઠળ કાર્યરત છે. કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો સુરતની આ સ્માર્ટ પહેલ માત્ર સફાઈ પૂરતી મર્યાદિત નથી, પણ પર્યાવરણના જતનનું મોટું અભિયાન છે. આ રિસાયક્લિંગ પ્રક્રિયાના કારણે દર વર્ષે અંદાજે 500 ટનથી વધુ $CO_2$ (કાર્બન ડાયોક્સાઇડ)નું ઉત્સર્જન ઘટે છે. જે 2,50,000 કિલો કોલસાની બચત સમાન છે. આનાથી કુદરતી સંસાધનો જેવા કે પથ્થર અને રેતીના ખનન પરનું ભારણ ઘટ્યું છે અને પ્રકૃતિનું રક્ષણ થઈ રહ્યું છે. વેસ્ટમાંથી વેલ્થ: રિસાયકલ મટીરિયલનો ફરજિયાત વપરાશ સુરત મનપાએ એક ક્રાંતિકારી નિર્ણય લેતા સરકારી ટેન્ડરોમાં 20 ટકા સુધી રિસાયકલ સામગ્રીનો ઉપયોગ ફરજિયાત કર્યો છે. આ નીતિથી ‘સર્ક્યુલર ઇકોનોમી’ મજબૂત બનશે. કોસાડ સ્થિત પ્લાન્ટમાં ઈંટ, કોન્ક્રીટ અને લોખંડના ટુકડાઓ પર સાયન્ટિફિક પ્રોસેસિંગ કરી તેમાંથી પેવર બ્લોક, ક્રશ્ડ એગ્રીગેટ્સ અને રિસાયકલ રેતી જેવી ઉચ્ચ ગુણવત્તાની સામગ્રી બનાવવામાં આવે છે. ટેકનોલોજી અને ગાઈડલાઈનનો સમન્વય શહેરના હવા પ્રદૂષણને રોકવા માટે ‘ક્લિન કન્સ્ટ્રક્શન ગાઇડલાઇન’ અમલી બનાવાઈ છે. ઈ-ગવર્નન્સના માધ્યમથી નાગરિકો હવે ઘરે બેઠા કન્સ્ટ્રક્શન વેસ્ટ ઉપાડવા માટે નોંધણી કરાવી શકે છે. બાંધકામ સ્થળોએ ધૂળ નિયંત્રણ માટે સ્પ્રિન્કલર્સ, ગ્રીન નેટ અને શેડ્સનો ફરજિયાત ઉપયોગ સુરતને વધુ સુરક્ષિત અને સ્વચ્છ બનાવે છે. છેલ્લા 7 વર્ષનો વેસ્ટ કલેક્શન ડેટા વર્ષ 2018 થી કાર્યરત આ પ્લાન્ટમાં કલેક્શન સતત વધી રહ્યું છે. વર્ષવાર કલેક્શન (મેટ્રિક ટનમાં) નીચે મુજબ છે: 2018-19: 65,746 2019-20: 37,457 2020-21: 10,614 2021-22: 23,315 2022-23: 41,451 2023-24: 49,381 2024-25: 58,106 સ્વચ્છ સર્વેક્ષણ-2024 માં દેશમાં સર્વોચ્ચ સ્થાન મેળવનાર સુરત હવે વેસ્ટ મેનેજમેન્ટમાં પણ સમગ્ર ભારત માટે રોલ મોડેલ બની ગયું છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:08 pm

આઈસ્ટાર કોલેજ MIHS વિભાગે ગ્લોબલ એલ્યુમની સમિટ:દેશ-વિદેશના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઓનલાઈન-ઓફલાઈન માધ્યમથી જોડાયા

ચારુતર વિદ્યામંડળ સંચાલિત આઈસ્ટાર કોલેજના ઇન્ડસ્ટ્રીયલ હાઈજીન એન્ડ સેફ્ટી (MIHS) વિભાગ દ્વારા મધુબન રિસોર્ટ ખાતે 'ગ્લોબલ એલ્યુમની સમિટ-2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં દેશ-વિદેશની મોટી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી જોડાયા હતા. તેમણે પોતાની સફળતાની ગાથા રજૂ કરી હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ ચારુતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઈ પટેલે જણાવ્યું હતું કે, આઈસ્ટારના વિદ્યાર્થીઓએ વૈશ્વિક સ્તરે જે સ્થાન પ્રાપ્ત કર્યું છે તેનાથી સંસ્થાનું ગૌરવ વધ્યું છે. વિદ્યાર્થીઓની સફળતા એ સંસ્થાની સાચી મૂડી છે. આ પ્રસંગે તેમની સાથે મહર્ષિ મહેતા, જે.એચ. પટેલ અને પ્રિન્સિપાલ ડો. મહેન્દ્રસિંહ એમ. રાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિભાગના કોઓર્ડીનેટર બૈજુ વર્ગીસે સૌનું સ્વાગત કર્યું હતું. આ સમિટમાં વિવિધ મલ્ટીનેશનલ કંપનીઓમાં કાર્યરત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ માર્ગદર્શન આપ્યું હતું. ઉદ્યોગ જગતના અગ્રણીઓ જેવા કે 3M ઇન્ડિયા લિમિટેડના મિરેશ દેસાઈ, RECOHના શ્રેણિક રાણપુરા, ફોર્ડ ઇન્ડિયામાંથી દિપેન સાકરિયા, વર્લ્ડ બેંકમાંથી હિતાર્થ મહેતા, રોશ ફાર્માસ્યુટિકલ્સમાંથી કોમલ શિયાણી, BP (બ્રિટિશ પેટ્રોલિયમ)માંથી જૈનિલ પંચાલ અને Xellia ફાર્મામાંથી અભિ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ખિલન પટેલ અને મયંક પટેલે કર્યું હતું. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીના ક્ષેત્રમાં રહેલી પુષ્કળ તકો વિશે માહિતી આપી હતી. અંતમાં કરણ પટેલે આભારવિધિ કરી હતી. આ સમિટ દ્વારા જૂના અને નવા વિદ્યાર્થીઓ વચ્ચે એક મજબૂત સેતુ બંધાયો, જે ભવિષ્યમાં રોજગારી અને માર્ગદર્શન માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:08 pm

કોંગ્રેસ જીતે તો 50 વાર સુધીના મકાનનો વેરો માફ:રાજકોટમાં ડે. મેયરનાં વોર્ડમાં લોકોની અસુવિધા અંગે કોંગ્રેસે લોકોના પ્રતિભાવ મેળવ્યા, ભાજપનાં શાસનમાં પ્રજા હેરાન-પરેશાન હોવાનો શહેર પ્રમુખનો દાવો

રાજકોટ સહિતની મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે. જેને લઈ કોંગ્રેસ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસના આગેવાનોએ 'કોંગ્રેસ આપકે દ્વાર' અભિયાન અંતર્ગત લોકોની રૂબરૂ મુલાકાતો લઈ તેમની સમસ્યાઓ અને જરૂરિયાતો જાણવાનું શરૂ કર્યું છે. જે અંતર્ગત આજે શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો ડે. મેયર નરેન્દ્રસિંહનાં વોર્ડ નં 3માં પહોંચ્યા હતા. જ્યાં વેપારીઓ અને લોકોની સાથે રૂબરૂ મુલાકાત કરી તેમની સમસ્યા જાણવા પ્રયાસ કર્યો હતો. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ જીતે તો 50 વાર સુધીના મકાનનો વેરો સંપૂર્ણ માફ કરવાનું જાહેર કર્યું હતું. આ સાથે જ ભાજપનાં શાસનમાં પ્રજા હેરાન-પરેશાન હોવાનો દાવો કર્યો હતો. શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં ભાજપ શાસિત મ્યુ. કોર્પોરેશન અને કમિશનર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જો આગામી સમયમાં કોર્પોરેશનમાં કોંગ્રેસનું બોર્ડ બનશે, તો 50 વાર સુધીના મકાનો ધરાવતા સામાન્ય પરિવારો પાસેથી કોઈપણ પ્રકારનો વેરો વસૂલવામાં આવશે નહીં. હાલ કોર્પોરેશન માત્ર સામાન્ય જનતા અને નાના વેપારીઓ પાસેથી વેરાની ઉઘરાણી કરવામાં વ્યસ્ત છે. અમદાવાદ જેવી મહાનગરપાલિકામાં વ્યાજ માફીની યોજનાઓ અમલમાં છે, જ્યારે રાજકોટમાં તંત્ર લોકો પર દબાણ કરી રહ્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે મોબાઈલ ટાવર, સરકારી યુનિવર્સિટી, કલેક્ટર ઓફિસ અને PWD જેવી સંસ્થાઓ પાસે કરોડોના વેરા બાકી હોવા છતાં તેમની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે જો આ પક્ષપાતી વલણ ચાલુ રહેશે, તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા મ્યુ. કમિશનરનો ઘેરાવ પણ કરવામાં આવશે. વધુમાં જાડેજાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ આગામી સમયમાં 14 મુદ્દાઓનો મેનિફેસ્ટો જાહેર કરવા જઈ રહી છે. આ મેનિફેસ્ટો કોઈ બંધ બારણે તૈયાર કરવામાં નહીં આવે, પરંતુ શહેરના તમામ 18 વોર્ડના લોકો પાસેથી ફોર્મ ભરાવીને તેમની રજૂઆતો અને વેદનાઓને વાચા આપવા માટે તૈયાર કરવામાં આવશે. આ અભિયાનનો પ્રારંભ મેયરનાં વોર્ડમાંથી કરવામાં આવ્યો હતો. આજે ડેપ્યુટી મેયરનાં વોર્ડ નં 3માં કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા છે, અને લોકોની સમસ્યા તેમજ જરૂરિયાત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડેપ્યુટી મેયરના વોર્ડમાં પણ લોકોની સમસ્યાઓ પ્રત્યે તંત્રની ઉદાસીનતા હોવાનો આક્ષેપ કરતા કહ્યું કે, શાસક પક્ષના કોર્પોરેટરો પ્રજાના પ્રશ્નો સાંભળવા નીકળતા નથી. વોર્ડ નંબર 3 ના પ્રવાસ દરમિયાન ગંદા પાણી અને કચરાના નિકાલ જેવી સ્થાનિક સ્વરાજ્યની અનેક ફરિયાદો સામે આવી છે. કોંગ્રેસની ટીમ દ્વારા આ તમામ પ્રશ્નોના ઉકેલ માટે પૂરતા પ્રયાસો કરવામાં આવશે. સાથે જ લોકોને જ્યાં પણ તકલીફ હોય ત્યાં કોંગ્રેસનો સંપર્ક કરવાની અપીલ તેમણે કરી હતી.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:07 pm

રિવરફ્રન્ટ પર એક બાદ એક ચાર કાર વચ્ચે અકસ્માત:ભારે ટ્રાફિકજામ સર્જાયો, કારમાં સવાર મહિલા દર્દીને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડાયા

અમદાવાદના શાહીબાગ તરફના રિવરફ્રન્ટ પર એક સાથે ચાર ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના કારણે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.અકસ્માતમાં એક ગાડીમાં મહિલા દર્દીને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા જોકે અકસ્માત થતા મહિલાને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. એક બાદ એક ચાર કાર વચ્ચે અકસ્માત સર્જાયોમળતી માહિતી મુજબ ડફનાળાથી શાહીબાગ તરફ જતા રિવરફ્રન્ટ પર 11 વાગ્યાની આસપાસ એક અમેઝ કારની પાછળ વેગેનાર કાર અથડાઈ હતી જેની પાછળ અન્ય બે કાર અથડાઈ હતી આમ એક બાદ એક ચાર ગાડી એકબીજા સાથે અથડાઈ હતી અકસ્માતના સમયે વાહનોની અવરજવર વધુ હોવાના કારણે રિવરફ્રન્ટ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચીને ગાડી સાઈડમાં કરાવી ટ્રાફિક નિયંત્રણ કરાવ્યું હતું. એક કારમાં સવાર મહિલા દર્દીને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવાયાઅકસ્માતમાં એમપી પાસિંગની એક કાર હતી,જેમાં એક મહિલા દર્દીને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા. અકસ્માત દરમિયાન મહિલા દર્દીને સામાન્ય ઇજા પણ પહોંચી હતી જેથી મહિલાને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 12:53 pm

બાળ તસ્કરીનું આંતરરાજ્ય રેકેટ ઝડપાયું:અમદાવાદ એરપોર્ટ પાસેથી નવજાતનું રેસ્ક્યૂ; ચાર શખસ બાળકને હિંમતનગરથી 3.60 લાખમાં ખરીદી લાવ્યા હતા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ATSએ સંયુક્ત ઓપરેશનમાં આંતરરાજ્ય બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ એરપોર્ટ પાસેથી એક ગાડીમાંથી નવજાત બાળકનું રેસ્ક્યૂ કર્યું હતું. આ બાળકને ચાર શખસ હિંમતનગરથી 3.60 લાખમાં ખરીદીને લાવ્યા હતા. બાળકોને તસ્કરી કરીને તેમને ગુજરાત, તેલંગાણા અને યુપીના રાજ્યોમાં વેચી દેવામાં આવતા હતા. પોલીસે હાલ ચાર આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ….

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 12:42 pm

કાલુપુરની 30 ટ્રેનો સાબરમતી ડાઈવર્ટ કરાઈ પણ સુવિધા શૂન્ય:પાણી અને નાસ્તા માટે જનતાને વલખાં, પ્લેટફોર્મ પર જવા માટે પણ માત્ર એક જ એન્ટ્રી, રેલવે મંત્રી સુધી ફરિયાદ

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પુનઃ નિર્માણનું કામ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે, જે પૂરુ થતા હજુ બીજા બે વર્ષ લાગવાના છે. જેથી કાલુપુરથી ઉપડતી અને આવતી લગભગ 30 ટ્રેનોને સાબરમતી રેલવે સ્ટેશન પર ડાઈવર્ટ કરાઈ છે, પરંતુ સાબરમતી રેલવે સ્ટેશન પર કોઈ જાતની સુવિધા નહીં હોવાને કારણે મુસાફરો ત્રાહીમામ પોકારી રહ્યા છે. સૌથી વધુ મુશ્કેલી પ્લેટફોર્મ પર પહોંચવામાં થઈ રહી છે. કેમકે અહીં મુસાફરોને ત્યાં જવા માટે માત્ર એક જ એન્ટ્રી છે. જેને કારણે ટ્રેન પકડવા માટે મુસાફરો ભારે દોડધામ કરી રહ્યા છે અને જોરદાર ભીડ થઈ રહી છે. આ સંદર્ભમં રેલવે મંત્રી, રેલવેના જનરલ મેનેજર તેમજ DRMને લેખિતમાં ફરિયાદ અપાઈ છે તેમજ મુસાફરોને પડતી તમામ પ્રકારની મુશ્કેલીઓને દૂર કરવાની માગણી કરાઈ છે. પ્લેટફોર્મ નં 1 પર અડધી જગ્યા બ્લોક, અડધુ બંધ, અડધુ ચાલુફરિયાદમાં જણાવાયું છે કે, કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણનું કામ ચાલુ હોવાથી આબુરોડ તરફ જતી તમામ ટ્રેનોને સાબરમતીથી ચલાવવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ અહીં પણ નવીનીકરણનું કામ ચાલુ હતું. જો કે, કુલ સાત પૈકીના પ્લેટફોર્મ નં 2 અને 3નું કામ લગભગ પૂર્ણ થઈ ગયુ છે આમ છત્તા તેનો ઉપયોગ કરાતો નથી. ઉપરાંત પ્લેટફોર્મ નં 1 ઉપર પણ અડધી જગ્યા બ્લોક કરાઈ છે અને અડધુ પ્લેટફોર્મ જ ચાલુ છે. જ્યારે પ્લેટફોર્મ નં 4, 5, 6 અને 7 ઉપર નવીનીકરણનુ કામ પણ હવે પૂરુ થવામાં છે. પ્લેટફોર્મ નં 6-7 ઉપર નાસ્તા માટેનો એક પણ સ્ટોલ નથીસાબરમતી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં 6-7 ઉપર હાલમાં નાસ્તા માટેનો એકપણ સ્ટોલ નથી. મુસાફરોને પીવાનું પાણી ખરીદવુ હોય તો આમતેમ જોવુ પડે છે પણ ક્યાંય કશુ દેખાતુ નથી. રેલવેના ટોચના અધિકારીઓ બધુ જાણતા હોવા છતાં શા માટે અહીં સ્ટોલની મંજૂરી નથી આપતા તે પ્રશ્ન પણ ખુબ મોટો છે. જો કે, પ્લેટફોર્મ નં 1ના પ્રવેશદ્વાર ઉપર એક સ્ટોલ છે એ પણ મોટાભાગે બંધ હાલતમાં હોય છે અથવા તો નાસ્તો કે પાણી પણ હોતું નથી. કાલુપુરની 30થી વધુ ટ્રેનોને હવે અહીંથી દોડાવાઈ રહી છેકાલુપુર રેલવે સ્ટેશનથી ઉપડતી જૂદી જૂદી એવી 30થી વધુ ટ્રેનોને હવે સાબરમતી રેલવે સ્ટેશનથી દોડાવાઈ રહી છે. ઉપરાંત અહીંથી અન્ય ઘણી ટ્રેનોની અવરજવર રહેતી હોય છે. આમ છતાં મુસાફરોને પીવાનું પાણી જોઈતું હોય તો મળી શકતું નથી. તંત્ર દ્વારા રેલવેનો વિકાસ કરાયાના દાવા કરાયા છે. જેથી ફરિયાદમાં એવુ પૂછાયું છે કે, જ્યાં પીવાના પાણીના પણ ફાંફાં હોય તેવા વિકાસને શું કરવાનો. સ્ટેશન ઉપર પાર્કિંગની પણ રામાયણથી સ્ટેશનની અંદર-બહાર ટ્રાફિક જામસાબમતી રેલવે સ્ટેશન પર કાર પાર્કિંગની પણ ચોક્કસ વ્યવસ્થા નથી. રોજના હજારો મુસાફરોની જ્યાં અવરજવર રહેતી હોય ત્યાં મોટું પાર્કિંગ આપવુ પડે, પરંતુ અહીં જૂજ કાર અને ટુ વ્હીલર આવી શકે એવું સાવ નાનુ પાર્કિંગ છે. જેને કારણે મુસાફરોને લેવા-મુકવા આવતી કાર સ્ટેશનની અંદર જ ફસાઈ જાય છે. સ્ટેશનની અંદર જ ટ્રાફિક જામ થઈ જાય છે. ત્યાર બાદ સ્ટેશનની બહારના રોડ પર પણ ટ્રાફિક જામ દેખાઈ રહ્યો છે. ખાસ કરીને ટ્રેનોના આવવા-જવાના સમયે અહીં મુશ્કેલીઓ વધી જાય છે. ટ્રાફિકને નિયંત્રણ કરવા માટેની પણ કોઈ જ વ્યવસ્થા નથી. જેને કારણે સ્ટેશનની અંદર અને બહાર રોજ નાના અકસ્માતો પણ થઈ રહ્યા છે. અમદાવાદ ડિવિજનના અધિકારીઓની બેદરકારી, કોઈ ધ્યાન આપતા નથીરેલવે મંત્રીને કરાયેલી ફરિયાદમાં જણાવાયું છે કે, અમદાવાદ ડિવિઝનના ટોચના અધિકારીઓ સમક્ષ આ સંદર્ભમાં અનેક મુસાફરોએ ફરિયાદો કરી છે, પરંતુ તેઓ કોઈ જ ધ્યાન આપતા નથી. તેમની બેદરકારી અને ખાસ કરીને ગુજરાતી મુસાફરો પ્રત્યે ઓરમાયું વર્તન રાખવાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. 7મી જાન્યુઆરીના રોજ જનરલ મેનેજર આ સંદર્ભમાં જાતે તપાસ કરવા ગયા હતા, પરંતુ ત્યાર બાદ તેઓએ કોઈ જ કાર્યવાહી કરી નથી.જાણે ગુજરાતી મુસાફરોને જાણીજોઈને હેરાન કરાઈ રહ્યા હોય તેવુ લાગી રહ્યું છે. ટોચના અધિકારીઓ શા માટે એક બાબત સમજી નથી શકતા કે, મુસાફરોમાં વિશેષ સંખ્યા મહિલા તેમજ નાના બાળકોની પણ હોય છે. તેઓને બિસ્કિટ, દૂધ કે પાણી માટે ટળવળવું પડે તે સ્થિતિ પણ શરમજનક છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 12:34 pm

ગોધરા SSGITSના 150 વિદ્યાર્થીઓએ ગાયું વંદે માતરમ:રાષ્ટ્રીય ગીતની 150મી જયંતીની કરાઈ ઉજવણી

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી શ્રી સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ ટેક્નો સ્કૂલ (SSGITS) દ્વારા 29 જાન્યુઆરી, 2026ના રોજ રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ની ૧૫૦મી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળામાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. આ કાર્યક્રમમાં શાળાના 150થી વધુ વિદ્યાર્થીઓએ એકસાથે 'વંદે માતરમ'નું ગાન કર્યું હતું. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના કંઠે રાષ્ટ્રગીતનો નાદ ગુંજતા વાતાવરણમાં રાષ્ટ્રભાવનાનો સંચાર થયો હતો. 'વંદે માતરમ' ગીતના 150મા વર્ષ નિમિત્તે ૧૫૦થી વધુ બાળકોએ ભાગ લઈને આ ઉજવણીને વિશેષ બનાવી હતી. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પ્રતીકો પ્રત્યે આદર વધારવાનો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, 'વંદે માતરમ' માત્ર એક ગીત નથી, પરંતુ કરોડો ભારતીયોની લાગણી છે. તેમણે ગોધરાની આ શાળાએ નવી પેઢીને દેશના વારસા સાથે જોડવાના પ્રયાસોને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમના દ્રશ્યો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. લોકો ગોધરાની આ શાળાની આ પહેલને સરાહી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 12:32 pm

કોળી સમાજની ન્યાય સભાના બેનર ફાટ્યાં, CCTV:સરિતા સોસાયટી વિસ્તારમાં બાઈક પર આવેલી બે વ્યક્તિ બેનર ઉખેડી સાથે લઈ ગઈ; મિટિંગમાં નિર્ણય કરીશુંઃ કિશન મેર

બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયાને માર મારવાના પ્રકરણમાં 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગરના કુંભારવાડા અક્ષરપાર્ક ખાતે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ન્યાય સભાના બેનરો કોળી સમાજના યુવા આગેવાનો દ્વારા ઠેર-ઠેર લગાવવામાં આવ્યા છે. ત્યારે 28 જાન્યુઆરીની રાતેના શહેરના સરિતા સોસાયટી વિસ્તારમાં બાઈકમાં સવાર કોઈ બે વ્યક્તિ દ્વારા બેનર ફાડતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ ઘટનાને પગલે કોળી સમાજમાં રોષ જોવા મળ્યો છે. આજની મિટિંગમાં નિર્ણય કરીશુંઃ કિશન મેરઆ અંગે કોળી સમાજના યુવા આગેવાન કિશન મેરે જણાવ્યુ હતું કે, આજરોજ બપોરે સમાજની મિટિંગ મળવાની છે, તેમાં અમે નિર્ણય કરીશુ કે આ બાબતમાં શું કાર્યવાહી કરવી. ત્યારે આ સીસીટીવી ફૂટેજ કોળી સમાજના ગ્રુપમાં વાઇરલ થયા છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 12:23 pm

ગુજરાતમાં UGCના જાતિગત સમાનતાના કાયદાનો વિરોધ યથાવત:આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર ભરમાંથી સવર્ણ સમાજના આગેવાનો એકઠા થઇ ગુજરાત સમન્વય સમિતિ બનાવવા કરશે નિર્ણય

ગુજરાતમાં UGCના કાયદાને કાળો કાયદો ગણાવી આજે વિરોધના ભાગ રૂપે રાજકોટમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સવર્ણ સમાજના આગેવાનો એકઠા થઇ એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે કાયદાના વિરોધ અંગે રણનીતિ ઘડવામાં આવશે અને ગુજરાતમાં સમન્વય સમિતિની રચના કરવા અને આગામી દિવસોમાં કાયદાના વિરોધ માટે રણનીતિ ઘડવામાં આવશે. આ બેઠકમાં ખાસ દિનેશ બાંભણીયા, વરુણ પટેલ અને મનોજ પનારા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. દિનેશ બાંભણિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આજ રોજ રાજકોટ વિરાણી હાઈસ્કૂલ સામે આવેલ નાગર બોર્ડિંગ ખાતે સૌરાષ્ટ્ર ભરમાંથી સવર્ણ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરના 2.30 વાગ્યે આ બેઠક શરૂ થશે જેનો મુખ્ય ઉદેશ્ય UGCના કાળા કાયદાનો વિરોધ માટેનો છે અને આગામી દિવસોમાં પણ સમગ્ર ગુજરાતમાં વિરોધ પણ કરવામાં આવશે આ સાથ આગામી દિવસોમાં ગુજરાતની સમન્વય સમિતિ રચના કરી વિરોધ યથાવત રાખવામાં આવશે. સૌરાષ્ટ્ર - કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી અને બ્રહ્મદેવ સમાજના રાષ્ટ્રીય મહાસચિવ મિલન શુક્લાએ બે દિવસ પહેલા દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, UGCનો જે અધિનિયમ સરકાર લાવી છે તે કાળા કાયદા સમાન છે. જેમાં એવું પ્રદાન છે કે સવર્ણ જ્ઞાતિના બાળકો વિરુદ્ધ SC, ST કે OBC સમાજના વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવે તો સાત દિવસમાં તેનું રિઝલ્ટ આપવાનું અને 90 દિવસમાં તેની સામે ગુનો દાખલ કરવાનો, હોસ્ટેલમાં રહેતો હોય તો ત્યાંથી કાઢી મુકવાનો અથવા કોલેજમાંથી પણ દૂર કરવાનો. તેમને વધુમાં જણાવ્યું હતું કે, અમારો વિરોધ એ નથી કે આ પ્રકારનું કોઈ કૃત્ય કરે તો તેની સામે કાર્યવાહી કરવામાં ન આવે. અમારી વાત એવી છે કે ખરેખર કોઈ ખોટી ફરિયાદ કરે તો તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહીનો ઉલ્લેખ નથી. એ આ કાયદાના અમલીકરણ માટેની કમિટી બનાવવામાં આવી છે તેમાં પણ સવર્ણોને લેવા તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને OBC વર્ગને આ કમિટીમાં રાખવામાં આવ્યા છે. બધા જાણે છે કે OBC એટલે કોઈ જ્ઞાતિ નથી. જ્ઞાતિ જ નથી તો તમે તેને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કઈ રીતે કરો. દેશમાં ભાજપ સરકાર સવર્ણો એટલે કે બ્રાહ્મણો, ક્ષત્રિયો અને જૈન દરેક વિધાનસભા અને લોકસભાની સીટ ઉપર છે ત્યારે સૌથી વધુ અસર અમારા બાળકોને થવા જઈ રહી છે. 28 રાજ્યમાં આ કાળા કાયદાનો વિરોધ ચાલુ છે. ગુજરાતમાં બ્રહ્મ સમાજ અને કરણીસેનાએ સાથે રહીને રાજકોટ કલેકટરને રજૂઆત કરી હતી અને પાટીદાર સમાજના આગેવાનો પણ આ કાયદાના વિરોધમાં સહમતી દાખવી હતી જેના જ ભાગરૂપે આજે રાજકોટમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દિનેશ બાંભણીયા, વરુણ પટેલ અને મનોજ પનારા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. જ્ઞાતિઓનું વિભાજન કરીને મતોનું ધ્રુવીકરણ કરવામાં આવી રહ્યું છે તે હવે સવર્ણો ચલાવી લેશે નહીં. અત્યાર સુધી રાજકીય પક્ષોએ માણસોને અલગ અલગ જ્ઞાતિઓમાં વિભાજિત કરીને રાજનીતિ કરી છે. SC અને ST કાસ્ટને પહેલેથી એટ્રોસિટી એક્ટ મળેલો છે અને ઓબીસી એ આ પ્રકારના કાયદાની કોઈ માંગણી પણ કરી નથી. બ્રહ્મ સમાજ એ ચૂંટણીઓમાં EWS લાગુ કરવાની માંગણી કરે છે પરંતુ તે પણ સ્વીકારવામાં આવી નથી તો માગ્યા વગરની માગણી વાળું બિલ સરકાર શા માટે લાવવા માંગે છે. દેશની 52000 યુનિવર્સિટીઓમાંથી 0.5 ટકા એટલે કે 273 જેટલા જ કેસો હોવાનું જાણવા મળી રહ્યું છે. JNU જેવી યુનિવર્સિટીમાં બ્રાહ્મણ બન્યા ભારત છોડો ઉપરાંત તિલક, તરાજુ અને તલવાર ઇસકો મારો જૂતે ચાર આ પ્રકારના નારા લગાવી શકાતા હોય તો તે કોઈ રાજકીય પક્ષોને દેખાતું નથી. સવર્ણોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રની ભાજપ સરકાર આ કાયદો અમલમાં નહીં લાવે તેવો પૂરો વિશ્વાસ છે અને તેમ છતાં પણ જો આ કાયદો અમલમાં આવ્યો હતો અમે રસ્તા પર નહીં ઉતરીએ પરંતુ લોકસભા અને વિધાનસભાની બેઠકમાં મતથી તેનો જવાબ આપશું.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 12:18 pm

BVM એન્જિનિયરિંગમાં સાયબર સિક્યુરિટી સેન્ટર શરૂ:₹1.5 કરોડના ખર્ચે સોફોસના સહયોગથી વિદ્યાર્થીઓને વૈશ્વિક તાલીમ

આણંદના બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (BVM) માં ₹1.5 કરોડના ખર્ચે 'સાયબર સિક્યુરિટી સેન્ટર ઓફ એક્સેલન્સ' શરૂ કરવામાં આવ્યું છે. ચારુતર વિદ્યામંડળ સંચાલિત આ કોલેજમાં વૈશ્વિક સાયબર સિક્યુરિટી કંપની સોફોસના CSR પહેલ હેઠળ આ કેન્દ્રની સ્થાપના થઈ છે. આ સેન્ટર BVM સહિત આસપાસની સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને સાયબર સુરક્ષા ક્ષેત્રે તાલીમ આપશે. આ સેન્ટર અદ્યતન હાર્ડવેર, મોર્ડન કમ્પ્યુટિંગ સુવિધાઓ, સ્માર્ટ બોર્ડ અને લાયસન્સ ધરાવતા સોફોસ સોફ્ટવેરથી સજ્જ છે. સોફોસના નિષ્ણાત ટ્રેનર્સ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને સીધી તાલીમ આપશે. વિદ્યાર્થીઓ ફાયરવોલ સિક્યુરિટી, થ્રેટ પ્રોટેક્શન, નેટવર્ક કન્ફિગરેશન અને ઇન્સિડન્ટ રિસ્પોન્સ જેવા વાસ્તવિક પડકારો પર પ્રેક્ટિકલ અનુભવ મેળવી શકશે. તાલીમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને સોફોસ પ્રમાણિત સર્ટિફિકેટ્સ મળશે, જે તેમને ઇન્ટર્નશિપ અને નોકરીની તકો માટે મદદરૂપ થશે. આ પહેલથી વિદ્યાર્થીઓ 'ઇન્ડસ્ટ્રી રેડી' એન્જિનિયર્સ બની શકશે, તેમ આઈટી વિભાગના વડા ડૉ. કેયુર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું. કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ ભીખુભાઈ પટેલ, ઉપપ્રમુખ મનીષભાઈ પટેલ, માનદ મંત્રી એસ.જી.પટેલ, માનદ સહમંત્રી મેહુલ પટેલ, માનદ સહમંત્રી વિશાલભાઈ પટેલ, સી.વી.એમ યુનિવર્સીટીના પ્રોવોસ્ટ પ્રો. ડૉ. ઈંદ્રજિત એન. પટેલ, સોફોસના ડાયરેક્ટર સુનીલ રાઠોડ, બીવીએમના પ્રિન્સિપાલ ડૉ. વિનય જે. પટેલ અને આઈટી વિભાગના વડા ડૉ. કેયુર બ્રહ્મભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા ભગવાન સત્યનારાયણની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બીવીએમના પ્રિન્સિપાલ ડૉ. વિનય જે. પટેલે આ અંગે જણાવ્યું હતું કે, આ સેન્ટર શૈક્ષણિક શિક્ષણ અને ઉદ્યોગની જરૂરિયાતો વચ્ચેના અંતરને દૂર કરશે, જેનાથી ઉદ્યોગ માટે તૈયાર એન્જિનિયર્સ તૈયાર થશે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 12:05 pm

રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન માટે તંત્ર મક્કમ:400 કરોડની સરકારી જગ્યા ખાલી કરાવવા 1358 મિલકત ધારકોને હવે વધુ સમય નહીં અપાય; રેવન્યુ ઓફિસર્સ ડાયરીમાં રહેશે દબાણની નોંધ

રાજકોટના જંગલેશ્વરમાં રૂ. 400 કરોડની સરકારી જમીન પર ખડકાયેલી 1358 મિલકત ધારકોને ડિમોલીશનની આખરી નોટિસ ટોક ઓફ ધ ટાઉન બની છે. સ્થાનિકોની વ્હારે કોંગ્રેસ સભા ગજવી ચૂક્યું છે. અહીં રહેતા 15000 જેટલા લોકો બેઘર થવાના હોવાથી દબાણ દૂર કરવા સમય આપવાની સાથે વૈકલ્પિક જગ્યા સ્વરૂપે આવાસ ફાળવવાની માંગણી કરવામાં આવી છે. જોકે આજે કલેક્ટરે વધારાનો સમય આપવાની માંગણીને ફગાવી દીધી છે કારણકે દબાણકર્તાઓને સાંભળવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. જેથી હવે ડિમોલિશન થશે તે નક્કી છે. આ સાથે જ હવે રાજકોટ જિલ્લામાં સરકારી કે ગૌચરની જમીન પરના દબાણની રેવન્યુ ઓફિસર્સ ડાયરીમાં નોંધ રહેશે અને તે મૂજબ સરકારી જગ્યાઓ ખાલી કરાવવામાં આવશે. ‘આધાર પુરાવાઓ રજૂ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો’રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની જેટલી પણ જમીન છે તે ખાલી કરાવવા માટે વહીવટી તંત્ર કાર્યવાહી કરતું હોય છે. રાજકોટના જંગલેશ્વરમાં દબાણકર્તાઓને લીગલી સાંભળવામાં આવેલા છે. દરેક દબાણકર્તાઓને ત્રણ વખત સાંભળવામાં આવેલા છે અને આધાર પુરાવાઓ રજૂ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે. તમામ પુરાવાઓનું એક્ઝામિનેશન કર્યા બાદ ડિમોલિશન માટે 202ની નોટિસ આપવામાં આવી છે. આગામી સમયમાં હવે ડિમોલિશનની તારીખ નક્કી કરવામાં આવશેજંગલેશ્વરના 1358 મિલકત ધારકોને દબાણ હટાવવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો જેથી હવે વધારાનો સમય આપવાની કોઈ વાત રહેતી નથી. અમારા મુજબ વહીવટી તંત્ર દ્વારા લીગલ પ્રક્રિયા કરવામાં આવી છે. દરેક દબાણ કરનારાઓને વાંધા અરજી રજૂ કરવા અને પુરાવાઓ રજૂ કરવા માટે તક આપવામાં આવતી હોય છે તેની લીગલ પ્રક્રિયા ચાલી રહી છે અને આગામી સમયમાં હવે ડિમોલિશનની તારીખ નક્કી કરવામાં આવશે. રેવન્યુ ઓફિસર્સ ડાયરીમાં તમામ સરકારી દબાણની નોંધ રહેશેઆ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના દરેક તાલુકાઓમાં સરકારી જમીન ઉપરથી દબાણ હટાવવા માટે નોટિસો આપવાની પ્રક્રિયા ચાલી રહી છે અને દબાણ હટાવવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં રેવન્યુ ઓફિસર્સ ડાયરીમાં કઈ ગૌચરની અને સરકારી ખરાબાની જગ્યા પર દબાણ છે તે ઓટોમેટીક આઇડેન્ટીફાઈ થશે અને ત્યારબાદ દબાણ હટાવવા માટેની કામગીરી કરવામાં આવશે. 202 મુજબ આખરી નોટિસ અપાતા સ્થાનિકોમાં ભારે આક્રોશનોંધનીય છે કે, રાજકોટના જંગલેશ્વરમાં આજી રિવરફ્રન્ટ અને આજી રી-ડેવલોપમેન્ટ માટે જંગલેશ્વરમાં રૂ. 400 કરોડની જગ્યા પર ખડકાયેલી 1358 મિલકતો પરથી દબાણ દૂર કરવા માટે કલમ 61 મુજબ ત્રણ વખત નોટિસ આપી હિયરિંગ રાખવામાં આવ્યું હતું. જે બાદ હવે કલમ 202 મુજબ આખરી નોટિસ આપવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને તેમના દ્વારા વહીવટી તંત્ર સમક્ષ દબાણ દૂર કરવા માટે થોડો સમય આપવાની માંગણી કરવામાં આવી છે. સાથે વૈકલ્પિક જગ્યા સ્વરૂપે સરકારી આવાસ ફાળવવા પણ માંગણી કરાઈ છે. જોકે વહીવટી તંત્ર હવે ડિમોલીશન માટે મક્કમ છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 12:02 pm

સોલા સિવિલમાં સ્ટાફના ગેરવર્તનથી દર્દી ચાલુ સારવારે હોસ્પિટલ છોડવા મજબૂર:કહ્યું-લીવરની ગંભીર બીમારી છતાં સ્ટ્રેચર ખેંચાવી, ચાદર બદલવાનું કામ નર્સે કરાવ્યું; મને કઈ થશે તો જવાબદારી સિવિલ-રિંકુબેનની રહેશે

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર બેદરકારી અને સ્ટાફના દર્દી સાથે ખરાબ વર્તનના કારણે વિવાદમાં આવી છે. 27 જાન્યુઆરીને મંગળવારે સાંજે લીવર સિરોસિસથી પીડાતા રાજકુમાર ઠાકર નામના વ્યક્તિને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. પેટમાંથી પાણી કાઢવાની સારવાર માટે ચોથા માળે દાખલ કરવામાં આવ્યા બાદ ગંભીર હાલતમાં હોવા છતાં તેમને જાતે જ સ્ટ્રેચર ખેંચીને વોર્ડ સુધી જવું પડ્યું હોવાનો આરોપ છે. અગાઉ પણ સોલા સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર જાતે ખેંચીને જતા દર્દીઓનો મુદ્દો ગંભીર બન્યો હતો. દર્દીઓને સ્ટ્રેચર વગેરે જાતે ખેંચીને લઈ જવું પડી રહ્યું હતું. આટલું જ નહીં, વોર્ડમાં હાજર નર્સ ધારા દ્વારા દર્દી સાથે તોછડું વર્તન કરાયું હોવાની પણ ફરિયાદ સામે આવી છે. દર્દીને પોતે જ ચાદર બદલવા, ઈન્જેક્શન પકડવા જેવી ફરજ પાડવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. ઠંડી લાગતી હોવા છતાં હોસ્પિટલ તરફથી ચાદર કે તકિયા જેવી મૂળભૂત સુવિધા પણ આપવામાં આવી નહોતી. મને કઈ થશે તો જવાબદારી સોલા સિવિલ અને રિંકુબેનની રહેશેઃ દર્દીઆ મામલે દર્દી રાજકુમાર ઠાકરે જણાવ્યું હતું કે, હવે મને જે કંઈ પણ થશે તેની સંપૂર્ણ જવાબદારી સોલા સિવિલ તંત્રની રહેશે. હું બોટાદ ગામમાં રહું છું અને મને લીવરની સિરોસિસની તકલીફ છે. હું પાણી કઢાવવા માટે સોલા સિવિલની અંદર આવ્યો હતો. પાણી કઢાવવા બાબતમાં મને નીચેથી એડમિટ કરવા માટે ઉપર કીધું કે, ચોથા માળે તમે એડમિટ થવા જાઓ. હું ચોથે માળ એડમિટ થવા આવ્યો, ત્યાં ચોથે માળ મને રિંકુબેન મકવાણા કરીને (સ્ટાફ) મને કે, તમે ચાદર પકડો, આ કરો... ઓઢવાનું ન આપ્યું, ઓશિકા ન આપ્યા અને ખૂબ જ મારી સાથે ગેરવર્તન કર્યું છે. એટલે હું હોસ્પિટલમાંથી ચાલુ ટ્રીટમેન્ટે નીકળી ગયો છું. જો મને કોઈપણ વસ્તુ થશે તો તેની તમામ જવાબદારી સોલા સિવિલ અને રિંકુબેન મકવાણાની રહેશે. સોલા સિવિલના RMOએ જવાબ આપવાનું ટાળ્યુંહોસ્પિટલની વાસ્તવિકતા એવી છે કે, દર્દીઓને એક વિભાગથી બીજા વિભાગ અથવા એક માળેથી બીજા માળે લઈ જવાની ફરજ પરિવારજનો પર આવી રહી છે. આ મુદ્દે ઇન્ચાર્જ નર્સે જણાવ્યું કે, વોર્ડમાં માત્ર એક જ વોર્ડ બોય હાજર છે. આ અંગે, આર.એમ.ઓ. ડો. દેવાંગ શાહે કોઈ જવાબ આપ્યો નહોતો. ત્યારબાદ આસિસ્ટન્ટ આર.એમ.ઓ.એ પણ કોઈ જવાબ આપ્યો નહોતો. એક તરફ સરકારી હોસ્પિટલોમાં સારી સારવાર અપાતી હોવાનું કહેવાય છે, ત્યારે બીજી તરફ આવી બેદરકારી દર્દીઓના જીવ માટે જોખમ બની રહી છે. હવે જોવાનું રહેશે કે સોલા સિવિલ હોસ્પિટલ તંત્ર આ મામલે શું પગલાં લે છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 11:55 am

પંચમહાલના આંગણીયા ગામે યુવકને કરંટ લાગ્યો:સ્વીચ બોર્ડમાં પ્લગ નાખતાં યોગેશ સાંગોડિયા ગંભીર રીતે દાઝ્યા, હોસ્પિટલ ખસેડાયા

પંચમહાલ જિલ્લાના આંગણીયા ગામે વીજ કરંટ લાગવાથી એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. યોગેશ સાંગોડિયા નામના આ યુવકને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આંગણીયા ગામના રહેવાસી યોગેશ સાંગોડિયા પોતાના ઘરે લાઇટ ચાલુ કરવા માટે સ્વીચ બોર્ડમાં પ્લગ લગાવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક વીજ વાયરમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તેમને જોરદાર કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા યોગેશભાઈ ઘટનાસ્થળે જ ફેંકાઈ ગયા હતા અને તેમના હાથ ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકો અને પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 11:52 am

દિલ્હીના કર્તવ્યપથ પર ગુજરાતનો દબદબો યથાવત્:સતત ચોથા વર્ષે ‘પોપ્યુલર ચોઈસ એવોર્ડ’ જીતીને ગુજરાતના ટેબ્લોએ રચ્યો ઈતિહાસ

77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ ફરી એકવાર પોતાની આગવી ઓળખ સાબિત કરી છે. ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદેમાતરમ’ થીમ પર આધારિત ગુજરાતના ટેબ્લોએ “પોપ્યુલર ચોઈસ એવોર્ડ” કેટેગરીમાં સતત ચોથા વર્ષે પ્રથમ સ્થાન મેળવીને ઈતિહાસ સર્જ્યો છે. અગાઉ 2023, 2024 અને 2025માં પણ ગુજરાતના ટેબ્લોએ આ શ્રેણીમાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું હતું. ગુજરાતનો ટેબ્લો 43 ટકા મત મેળવી પીપલ્સ ચોઈસ કેટેગરીમાં વિજેતાકેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા MYGov પોર્ટલ પર યોજાયેલા મતદાનમાં ગુજરાતનો ટેબ્લો પ્રથમ કલાકથી જ અગ્રેસર રહ્યો હતો અને કુલ 43 ટકા મત મેળવી પીપલ્સ ચોઈસ કેટેગરીમાં વિજેતા બન્યો હતો. ઉત્તરપ્રદેશને 9 ટકા મત સાથે દ્વિતિય સ્થાન મળ્યું હતું, જ્યારે અન્ય 15 રાજ્યો પાછળ રહ્યા હતા. વંદે માતરમ્-સ્વદેશી ચળવળથી શરૂ થઈ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સુધીની યાત્રાને ટેબ્લોમાં દર્શાવાઈમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સિદ્ધિ પર આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રભક્તિ સાથે રાજ્યના સ્વાતંત્ર્યવીરોના યોગદાનને સુંદર રીતે રજૂ કરતો ગુજરાતનો ટેબ્લો લોકહૃદયમાં વિશેષ સ્થાન બનાવી શક્યો છે. વંદે માતરમ્ અને સ્વદેશી ચળવળથી શરૂ થઈ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સુધીની યાત્રાને ટેબ્લોમાં અસરકારક રીતે દર્શાવવામાં આવી હતી. સતત ચોથા વર્ષે પ્રથમ સ્થાન મેળવીને ઈતિહાસ સર્જ્યોઉલ્લેખનીય છે કે, 2023માં ‘ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત’, 2024માં ‘ધોરડો – વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’ અને 2025માં ‘આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો સંગમ’ જેવા ટેબ્લો દ્વારા ગુજરાતે પોપ્યુલર ચોઈસ એવોર્ડ પર પોતાની મજબૂત પરંપરા સ્થાપિત કરી હતી. આ પરંપરાને આગળ વધારતાં 2026માં પણ ગુજરાતે આ ગૌરવ પ્રાપ્ત કર્યું છે. 30 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં એવોર્ડ મળશેઆ પુરસ્કાર આગામી 30 જાન્યુઆરીએ નવી દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિરમાં યોજાનાર પ્રજાસત્તાક પર્વના સમાપન સમારોહમાં કેન્દ્રના રાજ્યકક્ષાના સંરક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાતને એનાયત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 11:42 am

CISF કોસ્ટલ સાયક્લોથોન આવતીકાલે મોરબી પહોંચશે:દરિયાઈ સુરક્ષા જાગૃતિ માટે 6500 KMની યાત્રાનું આયોજન

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા દેશની દરિયાઈ સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા અને રાષ્ટ્રીય એકતા મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે CISF વંદે માતરમ્ કોસ્ટલ સાયક્લોથોન-2026 નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયકલ યાત્રા 28 જાન્યુઆરીથી શરૂ થઈ છે અને 22 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ 25 દિવસીય સાયક્લોથોન દરમિયાન, CISF ટીમો ભારતની અંદાજે 6500 કિલોમીટર લાંબી મેઈનલેન્ડ કોસ્ટલાઇન પર ભ્રમણ કરશે. પશ્ચિમ દરિયાકાંઠાની ટીમનું પ્રસ્થાન ગુજરાતના કચ્છ સ્થિત ઐતિહાસિક લખપત કિલ્લાથી કરવામાં આવ્યું છે. આ સાયકલ યાત્રા 30 જાન્યુઆરીના રોજ મોરબી જિલ્લામાં પહોંચશે. મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ CISF યુનિટ દ્વારા તેમનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવશે. મોરબી જિલ્લાના માળિયા તાલુકાના સરવડ ગામ ખાતે સાંજે એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ દેશવ્યાપી અભિયાનના ભાગરૂપે, CISF રાજકોટ યુનિટને મોરબી જિલ્લાના માળિયાથી જોડિયા સુધીના દરિયાકાંઠાના પટ્ટામાં સાયક્લોથોન પ્રવૃત્તિઓનું સંચાલન અને સંકલન કરવાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 11:40 am

સાસણમાં CMએ કર્યા સિંહદર્શન: VIDEO:ખુલ્લી જીપમાં 'દાદા'એ કરી ફોટોગ્રાફી; સ્થાનિકો સાથે 'ચા'ની ચુસ્કી મારતા કહ્યું- 'આ મજા જ કંઈક અલગ છે'

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એક અનોખો અને સાદગીભર્યો અંદાજ સાસણ ગીરમાં જોવા મળ્યો છે. જૂનાગઢના પ્રવાસે આવેલા મુખ્યમંત્રીએ વહેલી સવારે ખુલ્લી જીપમાં સવાર થઈને ગીરના જંગલોમાં સિંહદર્શનનો લહાવો લીધો હતો, જ્યાં તેઓ પ્રોફેશનલ ફોટોગ્રાફરની અદામાં સાવજોની તસવીરો ક્લિક કરતાં જોવા મળ્યા હતા. જોકે, આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ તેમની સાદગી રહી. સત્તાના પ્રોટોકોલ બાજુ પર મૂકી મુખ્યમંત્રીએ સાસણની બજારમાં સ્થાનિકો સાથે બેસીને ચાની ચુસ્કી લીધી અને હળવાશના મૂડમાં કહ્યું કે, આ મજા જ કંઈક અલગ છે! વહેલી સવારે જંગલ સફારીનો અવિસ્મરણીય અનુભવગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મૃદુ અને મક્કમ છબીની સાથે તેમની સાદગીના દર્શન આજે સાસણ ગીરમાં થયા હતા. જૂનાગઢના વિકાસકાર્યોના લોકાર્પણ બાદ મુખ્યમંત્રી સાસણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોઈ પણ પ્રોટોકોલના આડંબર વગર એક સામાન્ય નાગરિકની જેમ ગીરની ગલીઓમાં લટાર મારી સ્થાનિકોના દિલ જીતી લીધા હતા. ખુલ્લી જીપમાં 'દાદા'એ કરી ફોટોગ્રાફીમુખ્યમંત્રીએ આજે વહેલી સવારે ગીર જંગલ સફારીની મુલાકાત લીધી હતી. કેરંભા થાણા વિસ્તારમાં તેમણે નિર્ભય રીતે વિહરતા સાવજોને નિહાળ્યા હતા. સિંહદર્શન બાદ તેમણે પ્રતિભાવ આપતા કહ્યું કે, ગીરની સવાર ખરેખર અદભુત છે! તેમણે વનકર્મીઓ સાથે સંવાદ કરી સિંહ સંવર્ધનની બહુસ્તરીય કામગીરીની વિગતો મેળવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. બાંકડા પર બેસી ચા પીધી અને પાન ખાધુંમુખ્યમંત્રીની મુલાકાતનો સૌથી યાદગાર અંશ તેમની સાદગી રહ્યો. ગઈકાલે રાત્રે સિંહસદન ગેસ્ટહાઉસથી તેઓ પગપાળા જ બજારમાં નીકળી પડ્યા હતા. સ્તામાં તેઓ સ્થાનિક વેપારીઓ, હસ્તકલાના કારીગરો અને પ્રવાસીઓને મળ્યા હતા. સાસણના સરપંચ અને પૂર્વ સરપંચ સાથે મુલાકાત થતાં મુખ્યમંત્રીએ સહજતાથી કહ્યું, ચલો ચા પીવડાવો. એક સામાન્ય ચાના ગલ્લા પર બાંકડા પર બેસીને તેમણે ચા પીધી હતી અને પાનનો આનંદ પણ માણ્યો હતો. તેમણે ગીરની પ્રખ્યાત કેરીની પ્રોડક્ટ્સ અને સિંહની પ્રતિકૃતિ જેવી હસ્તકલાની વસ્તુઓ વેચતા વેપારીઓને મળીને 'વોકલ ફોર લોકલ'ના મંત્રને પ્રોત્સાહન આપ્યું હતું. ગીરમાં પ્રવાસન અને વિકાસની ચર્ચામુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનોએ મુખ્યમંત્રીને પ્રવાસન વધારવા માટેના સૂચનો પણ આપ્યા હતા. વર્ષ 2025ની ગણતરી મુજબ ગીર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સિંહોની સંખ્યા 891 પર પહોંચી છે. ત્યારે પૂર્વ સરપંચે હિરણ નદીમાં બોટિંગ અને નાઈટ ટ્રેકિંગ જેવી પ્રવૃત્તિઓ શરૂ કરવા સૂચન કર્યું, જેને મુખ્યમંત્રીએ હકારાત્મક રીતે સાંભળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને 'પ્રોજેક્ટ લાયન'ને કારણે ગીરમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે, જેનાથી સ્થાનિક રોજગારીમાં મોટો ઉછાળો આવ્યો છે. મુખ્યમંત્રીની સરળતા, મૃદુતા અને નિખાલસતા સાસણના લોકો અને પ્રવાસીઓના હૃદયને સ્પર્શી ગઈ. એક રાજ્યના વડા હોવા છતાં સામાન્ય લોકો વચ્ચે બેસીને તેમની સમસ્યાઓ અને રાજીપો જાણવાની તેમની શૈલીની ગીરવાસીઓ પ્રશંસા કરી રહ્યા છે. સાસણગીરમાં મુખ્યમંત્રીએ વનકર્મીઓ માટે 183 ખાસ વાહનને ફ્લેગ ઓફ કરાવ્યુંવનસંપદા અને વન્ય જીવ સૃષ્ટિથી સમૃદ્ધ ગુજરાતમાં વન્ય પ્રાણી સંરક્ષણ, સંવર્ધન અને રેસ્ક્યૂ કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાસણગીર ખાતેથી 183 અત્યાધુનિક વાહનને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. વન વિભાગ દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સ અંતર્ગત 174 ફિલ્ડ બાઈક, 6 બોલેર કેમ્પર અને 3 ખાસ મોડીફાઇડ રેસ્ક્યૂ વ્હીકલ્સની ફાળવણી કરવામાં આવી છે. આ વાહનો ગીર, બૃહદ ગીર સહિત સમગ્ર 'લાયન લેન્ડસ્કેપ' અને રાજ્યના અન્ય વન વિસ્તારોમાં ફરજ બજાવતા વનકર્મીઓને પેટ્રોલિંગ અને પ્રોટેક્શનની કામગીરીમાં વધુ સક્ષમ બનાવશે. વાહનોના લોકાર્પણ સમયે વન પર્યાવરણ અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવ અને અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલસિંહ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ સુવિધાઓથી સજ્જ આ નવા વાહનો મળવાથી હવે ફિલ્ડ સ્ટાફ વન્યજીવોના સંરક્ષણ અને ઇમરજન્સી રેસ્ક્યુ કામગીરી વધુ ઝડપથી અને અસરકારક રીતે કરી શકશે. ધાવા ગીર ખાતે મિત્રના પુત્રના લગ્નપ્રસંગે હાજરી આપવા આવ્યા હતાઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી તાલાલાના ધાવા ગીર ખાતે મિત્રના પુત્રના લગ્નપ્રસંગે હાજરી આપવા આવ્યા હતા, જેના ભાગરૂપે તેમણે સાસણમાં રાત્રી રોકાણ કરી વન વિભાગની કામગીરીની સમીક્ષા અને જનસંપર્ક સાધ્યો હતો. સવારે 10:30 કલાકે તેઓ ભાલછેલ હેલીપેડથી ગાંધીનગર જવા રવાના થયા હતા.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 11:33 am

વેમેડ કોલેજે ભારતીય જ્ઞાન પ્રણાલી પર FDP યોજ્યો:વિદ્યાર્થીઓને વારસા આધારિત શિક્ષણ જરૂરી: પ્રો. ઇન્દ્રજિત પટેલ

ચારુતર વિદ્યામંડળ (CVM) યુનિવર્સિટી સંચાલિત વેમેડ કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા ભારતીય જ્ઞાન પ્રણાલી: પ્રથાઓ અને સમકાલીન શૈક્ષણિક વિનિયોગ (IKS) વિષય પર એક ઓનલાઇન નેશનલ લેવલ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલનો ઉદ્દેશ આધુનિક શિક્ષણ અને પ્રાચીન ભારતીય પરંપરાઓનો સમન્વય કરવાનો હતો. આ કાર્યક્રમમાં સીવીએમ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. ડૉ. ઇન્દ્રજિત પટેલે નવી શિક્ષણ નીતિ (NEP 2020) પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ભારતીય જ્ઞાન પ્રણાલીનું શિક્ષણમાં એકીકરણ અનિવાર્ય છે. આ FDPમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી 70થી વધુ પ્રોફેસરો અને શિક્ષણશાસ્ત્રીઓએ ભાગ લીધો હતો. દેશની ટોચની યુનિવર્સિટીઓના 9 વિષય નિષ્ણાતોએ ઓનલાઇન માધ્યમથી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુખ્ય અતિથિ તરીકે પ્રો. (ડૉ.) ઇન્દ્રજીત પટેલે પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું કે, ભારતનો વારસો અને મૂલ્યો જ વિદ્યાર્થીઓને સર્વગ્રાહી શિક્ષણ આપી શકે છે. તેમણે NEP 2020 મુજબ વિદ્યાર્થીઓને તેમના મૂળ સાથે જોડવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. આ FDP દ્વારા અધ્યાપકોને વર્ગખંડમાં પ્રાચીન જ્ઞાનને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ સાથે કેવી રીતે વણી શકાય તે શીખવવામાં આવ્યું હતું. આ પાંચ દિવસીય કાર્યક્રમમાં સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટી, MSU, IITE, ગુજરાત યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના ડૉ. વૈભવ જાદવ અને ડૉ. કપિલદેવ શાસ્ત્રી સહિત 9 જેટલા વિદ્વાનોએ વ્યાખ્યાનો આપ્યા હતા. CVMના ચેરમેન ભીખુભાઈ પટેલ અને અન્ય હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ આ આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. રજિસ્ટ્રાર પ્રો. (ડૉ.) સંદીપ વાલિયા અને વેમેડ કોલેજની ટીમે કાર્યક્રમમાં સહભાગી થયેલા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 11:31 am

પાટણ: રેલવે ગરનાળા પાસે ટ્રેન નીચે અજાણ્યાનું મોત:પાટણ સ્ટેશનથી નીકળેલી ટ્રેનની અડફેટે આવતા ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો, પોલીસ તપાસ

પાટણ શહેરના રેલવે ગરનાળા પાસે ટ્રેન નીચે આવી જતાં એક અજાણ્યા વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પાટણ રેલવે સ્ટેશનથી નીકળેલી ટ્રેનની અડફેટે આવતા આ બનાવ બન્યો હતો, જેને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની ઓળખ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના પાટણ રેલવે સ્ટેશન નજીક આવેલા રેલવે ગરનાળા પાસે બની હતી. પાટણ સ્ટેશનથી ટ્રેન રવાના થઈ રહી હતી તે સમયે કોઈ અજાણ્યો વ્યક્તિ અચાનક રેલવે ટ્રેક પર આવી ગયો હતો. ટ્રેનની અડફેટે આવતા તેનું શરીર કપાઈ ગયું હતું અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ થઈ શકી નથી કે તે ક્યાંનો રહેવાસી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અકસ્માત છે કે આત્મહત્યા, તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકની ઓળખ કરવા માટે આસપાસના વિસ્તારમાં પૂછપરછ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 11:21 am

ધ્રોલમાં પાંચ વર્ષની બાળકીનું અપહરણ:શ્રમિકની પુત્રીને પાડોશી મોટરસાયકલ પર ઉપાડી ગયો

જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં પાંચ વર્ષની બાળકી તારિકાનું અપહરણ થયું છે. આ અંગે ખેતમજૂરી કરતા પરપ્રાંતિય શ્રમિક માંગુભાઈ સુંદરિયાભાઈ પચાયાએ ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, બાળકીના અપહરણનો આરોપ પાડોશમાં જ કામ કરતા કાજુ હટુ બૂંદેલીયા અને તેના એક અજાણ્યા સાથી પર મૂકવામાં આવ્યો છે. પોલીસને આપેલી જાણકારી અનુસાર, માંગુભાઈ અને તેમની પત્ની વાડીની ઓરડીમાં ભોજન કરી રહ્યા હતા. તે સમયે તેમની પાંચ વર્ષની પુત્રી બહાર રમી રહી હતી. આ તકનો લાભ લઈ, પાડોશની વાડીમાં કામ કરતો કાજુ હટુ બૂંદેલીયા બાળકીને મોટરસાયકલ પર બેસાડીને એક અજાણ્યા શખ્સ સાથે ભાગી ગયો હતો.આ ઘટના અંગે ધ્રોલ પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો છે. ધ્રોલના પીઆઈ એચ.વી. રાઠોડ આ કેસની તપાસ ચલાવી રહ્યા છે. ગુમ થયેલી બાળકી અને અપહરણ કરનારા આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 11:16 am

આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.160 કરોડના વિકાસકામો મંજૂર થશે:અધવાડામાં ડ્રેનેજ-રોડ અને આધુનિક ઓડિટોરિયમ સહિતના કાર્યો, પૂર્વ-પશ્ચિમ એક-એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવાશે

ભાવનગર મહાનગરપાલિકા ખાતે આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સ્ટેન્ડિંગ કમિટીના હોલ ખાતે ચેરમેન રાજુ રાબડીયાના અધ્યક્ષસ્થાને મળશે. જેમાં શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વના 87 ઠરાવોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવશે. આ કામો અંતર્ગત શહેરના અધવાડામાં ડ્રેનેજ-રોડ અને શહેરમાં આધુનિક ઓડિટોરિયમ સહિતના કુલ 160 કરોડથી વધુના વિકાસ કાર્યોને બહાલી આપશે. અંદાજે રૂ.160.12 કરોડના વિકાસકામોને મંજૂરી અપાશેશહેરની જનતાની સુખાકારી અને સુવિધાઓમાં વધારો કરવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં કરોડોના ખર્ચે વિકાસકાર્યો હાથ ધરવામાં આવનાર છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક 30 જાન્યુઆરીને શુક્રવારના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં અંદાજે રૂ.160.12 કરોડના વિકાસકામોને મંજૂરી આપવામાં આવશે. ​આ કામો માટે અમૃત ગ્રાન્ટ, નિર્મલ ગુજરાત ગ્રાન્ટ અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ફંડ ફાળવવામાં આવી છે, જેમાં મુખ્યત્વે​ અધવાડા અને જૂની સોસાયટીઓનો માટે અધવાડા ગામ અને આસપાસની જૂની સોસાયટીઓમાં ડ્રેનેજ, વોટર સપ્લાય, રોડ અને સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધાઓ માટે અગાઉ રૂ.35 કરોડ મંજૂર થયા હતાં. હવે વધારાની રૂ.27.14 કરોડની માંગણી સાથે કુલ રૂ.62.14 કરોડના કામો માટે સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવશે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં એક-એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવાશેશહેરના હાર્દ સમાન નિલમબાગ સર્કલ પાસે, LICની બાજુમાં રૂ.65.56 કરોડના ખર્ચે એક અત્યાધુનિક ઓડિટોરિયમ બનાવવાનું આયોજન છે, જે માટે સરકારની સૈદ્ધાંતિક મંજૂરી મેળવવા પ્રક્રિયા હાથ ધરાશે. તથા રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે ભાવનગરના પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારોમાં એક-એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે કુલ રૂ.64.32 કરોડની ગ્રાન્ટની દરખાસ્ત મંજૂર કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 11:04 am

રેલવેનો પૂર્વ એટેન્ડન્ટ જ ચોર નીકળ્યો:રાત્રે ટ્રેનમાં ઊંઘતા મુસાફરોને ટાર્ગેટ કરી કિંમતી વસ્તુઓ ચોરતા તસ્કરને રેલવે પોલીસે ચાલુ ટ્રેને જ દબોચી લીધો, 9 ગુના ઉકેલાયા

સુરત રેલવે પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચને ટ્રેનોમાં થતી ચોરીનો ગુના ઉકેલવામાં મોટી સફળતા મળી છે. રેલવેમાં પેન્ટ્રી કાર અને એટેન્ડન્ટ તરીકે કામ કરી ચૂકેલી એક વ્યક્તિ અને સાથીદારો મુસાફરોની ઊંઘનો લાભ લઈ કિંમતી સામાનની ચોરી કરતા હતા. પોલીસે ચોરને ઝડપી પાડી સુરત, વડોદરા અને વસઈ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 9 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. કુલ રૂ. 80,290નો મુદ્દામાલ જપ્તપશ્ચિમ રેલવે વડોદરા પોલીસના માર્ગદર્શન હેઠળ સુરત એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ અને કોન્સ્ટેબલ મેહુલભાઈએ બાતમીના આધારે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી આરોપી મેહુલ નાનજીભાઈ રાઠોડ (રહે, નવસારી)ને મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. પોલીસે ચોર પાસેથી એક ડેલ કંપનીનું લેપટોપ, ચાર્જર, બે મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ અને મોબાઈલ ચાર્જર અને રોકડ રકમ રૂ.2,290 પણ કબજે કરી છે. કુલ રૂપિયા 80,290નો મુદ્દામાલ મળી આવ્યો હતો. મુસાફરો ઊંઘી જાય ત્યારે ચોરી કરતાઆરોપી મેહુલ અગાઉ રેલવેમાં નોકરી કરી ચૂક્યો હોવાથી તે ટ્રેનની આંતરિક વ્યવસ્થાથી સારી રીતે માહિતગાર હતો. તે તેના મિત્ર સાથે મળી નડિયાદથી મુંબઈ વચ્ચે ટ્રેનોમાં મુસાફરી કરતો અને મોડી રાત્રે જ્યારે મુસાફરો ઊંઘી જાય ત્યારે તેમના લેપટોપ, મોબાઈલ અને પર્સની ચોરી કરી લેતો હતો. વધુમાં આરોપીની પૂછપરછમાં છેલ્લાં બે વર્ષમાં આચરેલી અનેક ચોરીઓની કબૂલાત થઈ છે. આરોપી રેલવેમાં પેન્ટ્રી કાર અને એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતો હતોઆરોપી મેહુલ રાઠોડની પૂછપરછમાં ચોંકાવનારી કબૂલાત સામે આવી છે. તેણે આશરે દોઢ મહિના પહેલા ત્રિવેન્દ્રમ-વેરાવળ એક્સપ્રેસમાંથી એક પર્સની ચોરી કરી હતી. આ પર્સમાં રહેલા એટીએમ કાર્ડ અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરી તેણે સિફ્તપૂર્વક એટીએમનો પાસવર્ડ બદલી નાખ્યો હતો અને ખાતામાંથી રૂ. 2.45 લાખ ઉપાડી લીધા હતા. આરોપી છેલ્લા બે વર્ષથી તેના અન્ય એક ફરાર સાગરીત સાથે મળીને રાત્રિના સમયે ઊંઘતા મુસાફરોના પર્સ, મોબાઈલ અને લેપટોપની ઉઠાંતરી કરતો હતો. પકડાયેલા આરોપી અગાઉ રેલવેમાં પેન્ટ્રી કાર અને એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવી ચૂક્યો હોવાથી તેને ટ્રેનની અંદરની વ્યવસ્થા અને મુસાફરો કઈ રીતે બેદરકાર હોય છે તેની સંપૂર્ણ જાણકારી હતી. આ જ્ઞાનનો ઉપયોગ તે ચોરી કરવા માટે કરતો હતો. સુરત રેલવે એલસીબી પોલીસે આ નવ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો (1) લોકશક્તિ ટ્રેનમાંથી ભરૂચ-સુરત વચ્ચે એક લેપટોપની ચોરી થઈ હતી. જે અંગે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. (2) લાલકૂવા-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં વડોદરાથી સુરત રેલવે સ્ટેશન વચ્ચે મોબાઇલ ફોન, બ્લુટુથ તથા રોકડા રૂપિયા ભરેલી બેગની ચોરી કરી હતી. જે અંગે સુરત રેલવે પો.સ્ટે.માં ગુનો દાખલ થયો હતો. (3) વર્ષ-2024માં સુરતથી મુંબઈ વચ્ચે ચાલુ ટ્રેને એક મોબાઇલ ફોનની ચોરી થતાં મહારાષ્ટ્રના વસઈ રોડ રેલવે પો.સ્ટે.માં ગુનો દાખલ થયો હતો. (4) ત્રિવેન્દ્રમ વેરાવળ એક્સપ્રેસ ટ્રેનમાંથી નવસારી રેલવે સ્ટેશન ખાતે બેગ યોરી કરી હતી. તેમાંથી એ.ટી.એમ. કાર્ડ, મોબાઇલ ફોનની ચોરી કરી અને મોબાઇલ ફોનથી એ.ટી.એમ.નો પાસવર્ડ ચેન્જ કરી લઇ અને એ.ટી. એમ.માંથી રૂ.2,45,000 ઉપાડી લીધા હતા, જે અંગે સુરત રેલવે પો.સ્ટે. માં ગુનો દાખલ થયો હતો. (5) જામનગર ઘતરુનવેલી એક્સપ્રેસ ટ્રેનમાંથી અંકલેશ્વરથી ભરૂચ રેલવે સ્ટેશન વચ્ચેથી મોબાઇલ ફોન તેમજ રોકડ રકમ રાખેલી બેગની ચોરી કરી હતી. જે અંગે સુરત રેલવે પો.સ્ટે.માં ગુનો દાખલ થયો હતો. (6) અજમેર-પુરી એક્સપ્રેસ ટ્રેનમાંથી અમદાવાદથી વડોદરા રેલવે સ્ટેશન વચ્ચે મોબાઇલ અને રોકડા સાથેનું એક લેડીઝ પર્સ ચોર્યું હતું. જે અંગે વડોદરા રેલવે પો.સ્ટે.માં ગુનો દાખલ થયો હતો. (7) હડપસર-જોધપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી વડોદરાથી અમદાવાદ વચ્ચે સોનાનું મંગળસૂત્ર, મોબાઇલ ફોન તેમજ રોકડા રૂપિયા સાથેના લેડીસ પર્સની ચોરી કરી હતી. જે અંગે નડિયાદ રેલવે પો.સ્ટે.માં ગુનો દાખલ થયો હતો. (8) સુરત રેલવે સ્ટેશને આવેલી હમસફર એક્સપ્રેસ ટ્રેનમાંથી મોબાઇલ ફોન-પૈસા ભરેલા પર્સની ચોરી કરી હતી. જે અંગે સુર સુરત રેલવે પો.સ્ટે.માં ગુનો દાખલ થયો હતો. (9) ખાનદેશ એક્સપ્રેસ ટ્રેનમાં પાલઘરથી નવસારી વચ્ચે મોબાઇલ અને રોકડા સાથેના એક પર્સની ચોરી કરી હતી, જે અંગે વાપી રેલવે પો.સ્ટે.માં ગુનો દાખલ થયો હતો.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 10:58 am

રેલવેનું ‘મેરા ટિકિટ મેરી શાન’ અભિયાન:રાજકોટ, દ્વારકા અને જામનગરમાં નુક્કડ નાટક-સેલ્ફી પોઈન્ટ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો

રાજકોટ ડિવિઝનમાં ‘મેરા ટિકિટ મેરી શાન’ અભિયાન પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોમાં ટિકિટ લેવાની આદત કેળવવા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમનું યોગદાન વધારવા માટે એક વિશેષ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ‘મેરા ટિકિટ મેરી શાન, વિકસિત ભારત કે લિયે મેરા યોગદાન’ ના સૂત્ર સાથે આ અભિયાન 28 જાન્યુઆરી, 2026 થી શરૂ થયું છે. આ પહેલનો મુખ્ય હેતુ રેલવે મુસાફરીને વધુ પારદર્શક અને જવાબદાર બનાવવાનો છે. ત્રણ મુખ્ય સ્ટેશનો પર 10 દિવસીય આયોજન રાજકોટ ડિવિઝનના મંડળ રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, આ અભિયાન રાજકોટ ડિવિઝનના 3 મુખ્ય સ્ટેશનો— રાજકોટ, દ્વારકા અને જામનગર પર 10 દિવસ સુધી ચલાવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન મુસાફરોને ટિકિટ વગર મુસાફરી કરવાના ગેરફાયદા અને માન્ય ટિકિટ સાથે પ્રવાસ કરવાના મહત્વ વિશે સમજૂતી આપવામાં આવશે. નુક્કડ નાટક અને સેલ્ફી પોઈન્ટ દ્વારા જનજાગૃતિ રેલવે તંત્ર દ્વારા મુસાફરોને આકર્ષવા અને જાગૃતિ ફેલાવવા માટે અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. રાજકોટ, જામનગર અને દ્વારકા સ્ટેશનો પર વિશેષ ‘સેલ્ફી પોઈન્ટ’ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં મુસાફરો ફોટો પાડીને સોશિયલ મીડિયા પર આ અભિયાનનો સંદેશ ફેલાવી શકશે. આ ઉપરાંત, સ્ટેશનો પર નુક્કડ નાટકો દ્વારા મનોરંજક રીતે ટિકિટ લેવાનો સંદેશ અપાઈ રહ્યો છે. રેલવે અધિકારીઓ સીધા મુસાફરો અને ખાસ કરીને યુવા પેઢી સાથે સંવાદ કરી રહ્યા છે. ડિજિટલ પ્રચાર અને સમજાવટ માત્ર મેદાન પર જ નહીં, પણ ડિજિટલ માધ્યમો દ્વારા પણ આ અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે. સ્ટેશનો પર લાગેલા વીડિયો સ્ક્રીન પર જાગૃતિ સંદેશા પ્રસારિત થઈ રહ્યા છે. ટિકિટ ચેકિંગ દરમિયાન પણ સ્ટાફ દ્વારા મુસાફરોને દંડના બદલે સમજાવટથી આ અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા અને પ્રેસ કોન્ફરન્સ દ્વારા પણ આ મેસેજ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. રેલવેની આવક અને સુવિધાઓમાં વધારો ગિરિરાજ કુમાર મીનાએ વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે મુસાફરો પ્રામાણિકતાથી ટિકિટ ખરીદે છે, ત્યારે રેલવેની આવકમાં સીધો વધારો થાય છે. આ આવકનો ઉપયોગ સ્ટેશનોના આધુનિકીકરણ અને મુસાફરોની સગવડમાં વધારો કરવા માટે કરવામાં આવે છે. આ પ્રસંગે સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીના સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ અને ટિકિટ ચેકિંગ સ્ટાફ હાજર રહ્યો હતો. રેલવે તંત્રએ જનતાને આ રાષ્ટ્રહિતના અભિયાનમાં સહયોગ આપવા વિનંતી કરી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 10:56 am

જલાલપુર ડિસ્ટ્રીક્ટ બેંકમાં 2.14 કરોડની ઉચાપત:બ્રાંચ એકાઉન્ટન્ટ અને પત્ની સામે ઢસામાં ફરિયાદ, તપાસ શરૂ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલાલપુર ગામમાં આવેલી ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકમાં રૂ. 2.14 કરોડનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. તપાસમાં બેંકમાંથી આટલી મોટી રકમની ઉચાપત થઈ હોવાનું બહાર આવ્યું છે. આ મામલે જલાલપુર ડિસ્ટ્રીક્ટ બેંકના બ્રાંચ એકાઉન્ટન્ટ આનંદ પોપટભાઈ સગર અને તેમની પત્ની જાગૃતિબેન સગર સામે ઢસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બેંકના મેનેજર વિજયસિંહ પરમારે આ ફરિયાદ દાખલ કરાવી છે. પ્રાથમિક તપાસમાં કુલ 49 ખાતેદારો સહિત 51 બેંક ખાતાઓમાં ગેરરીતિપૂર્વક નાણાકીય હેરફેર કરીને આ રકમની ઉચાપત કરવામાં આવી હતી. ખાસ કરીને આનંદ સગરના વ્યક્તિગત ખાતામાં શંકાસ્પદ વ્યવહારો જોવા મળ્યા હતા. આ શંકાસ્પદ વ્યવહારોને કારણે સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન આનંદ સગર અને તેમની પત્નીના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર થઈ હોવાનું બહાર આવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ઢસા પોલીસે આ મામલે BNS એક્ટની કલમ 316(5), 338, 344, 54 તેમજ IT એક્ટ 66 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ આરોપીઓની ભૂમિકા અને નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 10:55 am

સાબરકાંઠા LCB એ 2.62 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:મામા પીપલા રોડ પરથી ઇકો ચાલક ઝડપાયો, ત્રણ સામે ગુનો

સાબરકાંઠા LCB ટીમે પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂ. 2.62 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. મામા પીપલા રોડ પરથી એક ઇકો ગાડીમાંથી આ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાડીના ચાલકની ધરપકડ કરી છે અને કુલ ત્રણ વ્યક્તિઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે. LCB PI ડી.સી. સાકરિયાના જણાવ્યા અનુસાર, LCB ટીમ PSI એસ.જે. ચાવડાના નેતૃત્વ હેઠળ પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દેવરાજભાઈ, નિલેષકુમાર અને નૃપેશકુમારને મળેલી બાતમીના આધારે, પોશીનાના મામા પીપલા રોડ પર રાજા પેટ્રોલ પંપ નજીક નાકાબંધી ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબ, રાજસ્થાન બોર્ડરથી મામાપીપલા થઈ પોશીના તરફ આવી રહેલી GJ-09-BJ-2812 નંબરની સફેદ મારૂતિ ઇકો ગાડીને રોકવામાં આવી હતી. ગાડીની તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 1107 બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. 2,62,900 ની કિંમતનો દારૂનો જથ્થો અને રૂ. 3,05,000 ની ઇકો ગાડી સહિત કુલ રૂ. 5,67,900 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં મામાપીપલાના રહેવાસી કાન્તીભાઈ વકતાભાઇ પરમાર (ઉ.વ. 23) ની ધરપકડ કરવામાં આવી છે. પોશીના પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા ચાલક સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં વિસનગર બાજુના કાળા કલરની ગાડીવાળા એક અજાણ્યા ઇસમ અને તેની સાથેના અન્ય એક અજાણ્યા ઇસમની શોધખોળ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 10:51 am

નશા મુક્ત ભારત સાયકલ યાત્રા ભરૂચ પહોંચી:બિહારના યુવાનોનું ભરૂચના સાયક્લિસ્ટોએ સ્વાગત કર્યું

બિહારના બે યુવાન સાયક્લિસ્ટો, ક્રિષ્ના કુમાર યાદવ અને રવિ રંજન કુમાર યાદવ, 'નશા મુક્ત ભારત'ના સંદેશ સાથે સાયકલ યાત્રા પર નીકળ્યા છે. તેમની આ યાત્રા ભરૂચ જિલ્લામાં પહોંચી હતી, જ્યાં ભરૂચના સ્થાનિક સાયક્લિસ્ટો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ બંને યુવાનોએ 20 જાન્યુઆરી, 2024 ના રોજ બિહારથી પોતાની યાત્રા શરૂ કરી હતી. તેઓ 9 રાજ્યોમાં સાયકલ દ્વારા આશરે 12,500 કિલોમીટરનું અંતર કાપવાનું લક્ષ્ય ધરાવે છે. યાત્રાના ભાગરૂપે ભરૂચમાં તેમની ઔપચારિક મુલાકાત યોજાઈ હતી. ક્રિષ્ના કુમાર યાદવ એક વિદ્યાર્થી છે, જ્યારે રવિ રંજન કુમાર યાદવ 2019 થી 2022 દરમિયાન સતત ત્રણ વર્ષ બિહાર સ્ટેટ કરાટે ચેમ્પિયન રહી ચૂક્યા છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીને વ્યસનથી દૂર રાખી સાયક્લિંગ અને રનિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓ તરફ પ્રેરિત કરવાનો છે, જેથી સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવી શકાય. આ યાત્રા ગુજરાતથી શરૂ થઈ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળ સહિતના રાજ્યોમાંથી પસાર થશે. આ સમગ્ર યાત્રા 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના સાયક્લિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસે બિહારના આ યુવાનોનું સ્વાગત અને સન્માન કર્યું હતું. તેમણે 'નશા મુક્ત ભારત'ની આ સાયકલ યાત્રા સલામતી અને સુરક્ષાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 10:50 am

પાટણમાં પરિણીતાની બીજા પતિ સામે ફરિયાદ:લગ્નના નામે છેતરપિંડી, ડિવોર્સ માટે દબાણનો આરોપ

પાટણના ડીસા હાઈવે પર આવેલા માતરવાડી વિસ્તારમાં રહેતી એક 33 વર્ષીય પરિણીતાએ તેના બીજા પતિ વિરુદ્ધ પાટણ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ પતિ પર શારીરિક અને માનસિક ત્રાસ આપવા, છેતરપિંડી કરવા, તરછોડી દેવા અને તલાક માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહિલાને મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકીફરિયાદી મહિલાના પ્રથમ લગ્ન વર્ષ 2012માં થયા હતા, જેમાંથી તેને બે બાળકો છે. વર્ષ 2016માં એક લગ્ન પ્રસંગ દરમિયાન તે અન્ય એક શખ્સના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ તેની જાણ પ્રથમ પતિને થતાં તેણે મહિલાને મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. મહિલા અને તેના પ્રેમીએ ભાગીને લગ્ન કર્યાઆ સમયગાળા દરમિયાન, પ્રેમીએ મહિલાને સારી રીતે રાખવાની ખાતરી આપી વિશ્વાસમાં લીધી હતી. મહિલાએ વર્ષ 2020માં તેના પ્રથમ પતિ પાસેથી રીત-રિવાજ મુજબ તલાક લીધા હતા. ત્યારબાદ, વર્ષ 2022માં મહિલા અને તેના પ્રેમીએ ભાગીને લગ્ન કર્યા અને પાટણ પરત આવી માતરવાડી વિસ્તારની એક સોસાયટીમાં રહેવા લાગ્યા. લગ્નના ચાર મહિના બાદ જ પતિ એકલી મૂકીને જતો રહ્યોલગ્નના શરૂઆતના સમયમાં પતિએ મહિલાને સારી રીતે રાખી હતી. જોકે, પરિવારોને તેમના લગ્નની જાણ થતાં જ પતિએ ઘરકામ અને અન્ય બાબતોને લઈને ત્રાસ આપવાનું શરૂ કર્યું. લગ્નના માત્ર ચાર મહિના બાદ જ પતિ મહિલાને ભાડાના મકાનમાં એકલી મૂકીને જતો રહ્યો હતો. મહિલાએ વારંવાર વિનંતી કરવા છતાં પતિ તેને સાસરી પક્ષના ઘરે લઈ જતો નહોતો. આ બાબતે અગાઉ મહિલાએ પોલીસમાં અરજી કરી હતી, પરંતુ પતિની સમજાવટ બાદ તે અરજી પરત ખેંચી લેવામાં આવી હતી. તેમ છતાં, પતિએ સુધારો કરવાને બદલે મહિલા પાસે તલ્લાકની માંગણી કરી દબાણ કરવાનું ચાલુ રાખ્યું. સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ જતાં અને પતિએ છેતરીને લગ્ન કર્યા હોવાનો અહેસાસ થતાં અંતે મહિલાએ ન્યાય માટે પાટણ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 10:48 am

ગણતરીના દિવસોમાં રાજકોટ મનપાનું પ્રસ્તાવિત બજેટ:પ્રજા પર આકરો કરબોજ ઝીંકાય તેવી શક્યતા, ચૂંટણી માથે હોવાથી શાસકો વધારો ફગાવશે, દિવ્યાંગો માટે ગાર્ડન સહિતની નવી યોજનાની સંભાવના

રાજકોટ મહાપાલિકાની આર્થિક સ્થિતિ હાલ અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. તિજોરીના તળિયા દેખાવા લાગતા હવે શહેરના વિકાસકામો અને વહીવટી ખર્ચને પહોંચી વળવા માટે પ્રજા પર મોટો કરબોજ ઝીંકવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. એક તરફ અમૃત 2.0 યોજના જેવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે મનપાને રૂ. 200 કરોડની લોન લેવાની નોબત આવી છે, તો બીજી તરફ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને પાણી પુરવઠા જેવા વિભાગોમાં આવક અને ખર્ચ વચ્ચેનું ગાબડું સતત વધી રહ્યું છે. ત્યારે સંભવત: આગામી શનિવારે કે સોમવારે રજૂ થનારા પ્રસ્તાવિત બજેટમાં મ્યુ. કમિશ્નર પ્રજા ઉપર વધારાનો કરબોજ ઝીંકે તેવી પૂરતી શક્યતા છે. જોકે ચૂંટણી માથે હોવાથી શાસકો આ વધારાને મહદઅંશે ફગાવશે તેવું પણ લાગી રહ્યું છે. તેમજ દિવ્યાંગો માટે ગાર્ડન સહિતની નવી યોજનાઓ બજેટમાં જોવા મળે તેવી સંભાવના છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં ખર્ચનો તોતિંગ ઉછાળો મહાનગરપાલિકાની આર્થિક કમર તોડવામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો પ્રોજેક્ટ મુખ્ય ગણાય છે. અગાઉ જે કામગીરી વાર્ષિક રૂ. 35 કરોડના ખર્ચે થતી હતી, તેમાં રૂ. 90 કરોડનો તોતિંગ વધારો કરીને નવો કોન્ટ્રાક્ટ વાર્ષિક રૂ. 120 કરોડના ખર્ચે આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ કુલ રૂ. 1107 કરોડનો હોવાનું જાણવા મળે છે. કરાર મુજબ દર વર્ષે આ ખર્ચમાં 5% નો વધારો થશે, જેનો અર્થ એ છે કે દર વર્ષે મનપા પર રૂ. 1200 કરોડનો વધારાનો બોજ પડતો રહેશે. આ આર્થિક ભારણ આખરે પ્રજાની પીઠ પર જ આવવાનું છે. નવાઈની વાત એ છે કે આટલા મોટા ખર્ચ છતાં બજેટમાં જાહેર થયેલા 115 ન્યુસન્સ પોઈન્ટ નાબૂદ કરવાની યોજના માત્ર કાગળ પર રહી ગઈ છે. બજેટના લક્ષ્યાંકો અને વાસ્તવિકતા વચ્ચે મોટું અંતર વર્ષ 2025-26 ના નાણાકીય વર્ષ માટે મનપાનું વાર્ષિક અંદાજપત્ર રૂ. 3100 કરોડનું રાખવામાં આવ્યું હતું. જોકે, નાણાકીય વર્ષ પૂરું થવામાં હવે ગણતરીના બે મહિના જ બાકી છે ત્યારે અત્યાર સુધીમાં માત્ર રૂ. 1470 કરોડનો જ ખર્ચ થઈ શક્યો છે. આવકના અભાવે અને ટીઆરપી અગ્નિકાંડ બાદ ઊભી થયેલી વહીવટી ગૂંચવણોને કારણે અનેક યોજનાઓ 'બાળ મરણ' પામી છે. વર્ષ 2024-25 ની પણ ઘણી ફાઈલો અત્યારે અભેરાઈ પર ચડાવી દેવામાં આવી છે. અધિકારીઓ પાસે પણ જૂની યોજનાઓની વર્તમાન સ્થિતિ અંગે સ્પષ્ટતા નથી. પાણી વેરો અને મિલકત વેરાની આવકમાં મોટું ગાબડું રાજકોટને પાણી પૂરું પાડવા માટે મનપા મોટાભાગે નર્મદાના નીર પર આધારિત છે. આજી અને ન્યારી ડેમમાં પાણી ખૂટે ત્યારે રાજ્ય સરકાર પાસેથી નર્મદાનું પાણી માંગવું પડે છે. સરકાર મનપા પાસેથી પ્રતિ 1000 લીટર દીઠ રૂ. 6 વસૂલે છે, જેની સામે મનપા પ્રજા પાસેથી વાર્ષિક માત્ર રૂ. 1500 પાણી વેરો ઉઘરાવે છે. આ આવક અને ખર્ચ વચ્ચેનું અંતર મનપાની આર્થિક સ્થિતિને વધુ નબળી બનાવી રહ્યું છે. તેવી જ રીતે, મિલકત વેરાનો લક્ષ્યાંક રૂ. 454 કરોડ છે, જ્યારે મનપાનો વાર્ષિક પગાર ખર્ચ જ રૂ. 450 કરોડ જેટલો છે. એટલે કે, જો 100% મિલકત વેરો વસૂલ થાય તો તેમાંથી માંડ કર્મચારીઓના પગાર નીકળે તેમ છે. વિકાસકામો માટે મનપા પાસે કોઈ ભંડોળ બચતું નથી. તિજોરી ભરવાના પ્રયાસો: પ્લોટ વેચાણ અને લોનનાણાકીય કટોકટીમાંથી બહાર આવવા માટે મનપાએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા રૂ. 290 કરોડની કિંમતના સાત પ્લોટ વેચવા કાઢ્યા હતા. જો આ તમામ પ્લોટનું વેચાણ સફળતાપૂર્વક થયું હોત, તો મનપાને રૂ. 200 કરોડની લોન લેવાની જરૂર પડવાની નહોતી. પરંતુ વર્તમાન બજાર સ્થિતિનાં કારણે માત્ર રૂ. 106 કરોડના એક પ્લોટનું વેચાણ થયું છે. બાકીના 6 પ્લોટ માટે કોઈ બિલ્ડરે રસ દાખવ્યો નથી. આમ પ્લોટ વેચાણથી આવક માટેનાં નિર્ધારિત રૂ. 700 કરોડનાં લક્ષ્યાંકમાં મોટું ગાબડું પડ્યું છે. ખોરંભે પડેલી યોજનાઓ:* સ્માર્ટ રિંગ રોડ અને આકર્ષક LED લાઈટ્સ.* નવા મોડેલ એન્ટ્રી ગેટ.* વોર્ડ નંબર 14 માં કોમ્યુનિટી હોલ.* રેલનગરમાં શાક માર્કેટ.* રામનાથ મહાદેવ મંદિર બ્યુટિફિકેશન પ્રોજેક્ટ. આગામી બજેટમાં શું નવું હોઈ શકે? સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી બજેટમાં પારદર્શિતા વધારવા માટે એજન્સીઓને કરવામાં આવતી પેનલ્ટી (દંડ) ની રકમને અલગથી દર્શાવવાની જોગવાઈ કરવામાં આવશે. અત્યાર સુધી આ રકમ 'અન્ય આવક' માં ગણવામાં આવતી હતી, જેથી કઈ એજન્સી સામે શું પગલાં લેવાયા તે જાણી શકાતું નહોતું. આ ઉપરાંત પણ, રાજકોટના 70 હજારથી વધુ દિવ્યાંગો માટે એક સારા સમાચાર મળી શકે તેમ છે. આગામી બજેટમાં વિકલાંગો માટે એક ખાસ ગાર્ડનની જાહેરાત થઈ શકે છે. ગાર્ડન માત્ર મનોરંજન માટે જ નહીં હોય, પણ 21 પ્રકારની વિકલાંગતા ધરાવતા લોકો માટે એક 'થેરાપી સેન્ટર' તરીકે પણ કામ કરશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકા અત્યારે બેવડા દબાણ હેઠળ છે. એક તરફ જૂની યોજનાઓ પૂરી કરવાનું દબાણ અને બીજી તરફ નવી યોજનાઓ માટે નાણાંની તંગી છે. ત્યારે આગામી બજેટમાં પ્રજા ઉપર કરબોજ વધશે કે શાસકો કોઈ જાદુઈ લાકડી ફેરવીને રસ્તો કાઢશે, તેના પર આખા શહેરની નજર છે. હાલમાં ચર્ચાતી વિગતો મુજબ આગામી બજેટમાં જૂની બાકી યોજનાઓ પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવશે. ખાસ કોઈ મોટી નવી યોજના આ બજેટમાં જોવા મળે તેવી શક્યતા ઓછી હોવાનું જાણકારોમાં ચર્ચાઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 10:46 am

ખાલી કેનાલમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો:વડોદરાના સાવલીમાં બુટલેગરે માઇનોર કેનાલમાં છુપાવેલો રૂ. 3.11 લાખની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, પોલીસને જોતા જ આરોપી ભાગી છુટ્યો

વડોદરા જિલ્લાના સાવલીમાં બુટલેગરે માઇનોર કેનાલમાં છુપાવેલો 3.11 લાખ રૂપિયાની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો વડોદરા ગ્રામ્ય LCBએ ઝડપી પાડ્યો છે. જોકે પોલીસને જોતા જ આરોપી ભાગી છુટ્યો હતો. પોલીસે આરોપીની બાઇક જપ્ત કરી છે અને સાવલી પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા ગ્રામ્ય LCBની ટીમ સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી આધારે કાર્યવાહી કરી હતી. બાતમી મુજબ, કિરણભાઈ પુનમભાઈ માળી (રહે. ભાદરવા ચોકડી પાસે, સાવલી, જી. વડોદરા) નાની સાવલી ભગવતી મિલની પાછળથી ગોઠડા જતી પાણી વગરની ખાલી માઇનર કેનાલમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખીને થોડો-થોડો લઈને ઘરેથી વેચાણ કરતો હતો. એલ.સી.બી. ટીમ દ્વારા તે જગ્યાએ પહોંચતાં એક વ્યક્તિ બાઇક લઈને ઉભો જોવા મળ્યો હતો. પોલીસને જોઈને તે વ્યક્તિ બાઇક મૂકીને ભાગી ગયો. બાઈકની આજુબાજુની ખાલી કેનાલમાં તપાસ કરતાં વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ગણતરી કરતાં 3.11 લાખ રૂપિયાની કિંમતની કુલ 44 પેટીમાંથી 1,560 બોટલ (ક્વાર્ટર અને બીયર સહિત) મળી આવી હતી. આ ઉપરાંત પોલીસે બાઇક પણ જપ્ત કરી હતી. આ મામલે સાવલી પોલીસ સ્ટેશનમાં આરોપી કિરણભાઈ પુનમભાઈ માળી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એક આરોપી હાલ ફરાર છે, જેને ઝડપી પાડવા માટે પોલીસના તપાસના ચક્રો ઝડપથી ફરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 10:37 am

ગેરકાયદે રેતી ભરી જતાં પાંચ ડમ્પર ઝડપાયા:મહેસાણાના નુગર અને ઊંઝા રોડ પરથી દોઢ કરોડના મુદ્દામાલ જપ્ત કર્યો, 2 લાખનો દંડ વસૂલી ત્રણ ડમ્પર છોડી મુક્યા

મહેસાણા શહેરના સીમાડા પરના નુગર સર્કલ પાસેથી ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે રેતી ચોરી જતાં ત્રણ ડમ્પર ઝડપી લીધાં હતા. તેવી જ રીતે ઊંઝા રોડ પરથી અનધિકૃત રેતી ખનિજ ભરી જતાં બે ડમ્પર ગાડી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. આશરે દોઢેક કરોડ રૂપિયાના મુદ્દામાલને જપ્ત કરી ખનિજ અધિકારીઓએ ત્રણ વાહન માલિકો પાસેથી અંદાજીત બે લાખ રૂપિયાના દંડની વસૂલાત કરી ત્રણે ડમ્પર છોડી મૂક્યા હતા. બે ડમ્પરમાં ઓવરલોડ રેતીનો જથ્થો ભર્યો હોવાનું માલુમ પડ્યુંમહેસાણા શહેરના છેવાડા પર આવેલાં નુગર સર્કલ નજીક સ્થાનિક ભૂસ્તર અધિકારીઓ પેટ્રોલિંગ કરી રહ્યાં હતા. તે દરમિયાન રોયલ્ટી પરમીટ વગર સાદી રેતી ભરી જતાં ત્રણ ડમ્પરને ઝડપી પાડી નજીકના સ્ટોક યાર્ડમાં મુકાવી દીધાં હતા. જેમાં એક ડમ્પરમાં રોયલ્ટી પરમીટ વગર રેતી ખનિજ અને બે ડમ્પરમાં ઓવરલોડ રેતીનો જથ્થો ભર્યો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ત્રણેય ડમ્પર ગાડીને સ્ટોક યાર્ડ ખાતે મુકાવી દઈ તેના વાહન માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. બે લાખ રૂપિયાના દંડની વસૂલાત કરી ત્રણે ડમ્પર છોડી મૂક્યાદંડ ફટકારી તેની ઓનલાઈન રિકવરી આકી ભૂસ્તર ટીમે આશરે દોઢેક કરોડનો મુદ્દામાલ કબજે લઈ ઓવરલોડ રેતી ભરેલાં બે ડમ્પરના માલિકો પાસેથી રૂ.1.38 લાખનો દંડ વસૂલી બંને વાહનોને મુક્ત કર્યા હતા. જ્યારે ઊંઝા ખાતેથી રોયલ્ટી પરમીટ વગર અને ઓવરલોડ મળી બે ડમ્પરને પકડી પાડી સ્થાનિક સ્ટોક યાર્ડ ખાતે મુકાવી દીધાં હતા. જેમાંના રોયલ્ટી વગરના ઓવરલોડ રેતી ભરેલાં ડમ્પર માલિકને રૂ. 64,569ના દંડની રીકવરી કરી એક ગાડીને છોડી મૂકી હતી. આમ ઊંઝા અને મહેસાણાના નુગર પાસેથી દંડની વસુલાત કરી ત્રણ વાહનોને છોડી મુકવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 10:30 am

આધાર કાર્ડ કઢાવવા 32 હજાર લાંચ માગી:સિવિક સેન્ટરના પ્યુન સહિત ત્રણ લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા; મુખ્ય આરોપી ઓપરેટર ફરાર

હાલમાં ભારતીય નાગરિકોને જરૂરી એવું આધાર કાર્ડ કઢાવવા માટે સિવિક સેન્ટરના કરાર આધારિત કર્મચારીઓએ એક વ્યક્તિ પાસેથી 32 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જોકે લાંચ લેતા સિવિક સેન્ટરનો પ્યુન અને એક ખાનગી વ્યક્તિ ઝડપાઈ ગયા હતા, જ્યારે લાંચની માંગણી કરનાર મુખ્ય આરોપી કોમ્પ્યુટર ઓપરેટર ફરાર છે. કોઈ અડચણ વિના આધાર કાર્ડ કઢાવવા માટે 32 હજાર માગ્યાસરસપુરમાં આવેલા સિવિક સેન્ટરમાં એક વ્યક્તિ આધાર કાર્ડ કઢાવવા ગયા હતા. ત્યારે કોમ્યુટર ઓપરેટર ભાગ્યેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો. ભાગ્યેશ સોલંકીએ ઝડપથી અને કોઈ અડચણ વિના આધાર કાર્ડ કાઢવા માટે પહેલા 25 હજાર માંગ્યા અને બાદમાં બીજા 7 હજાર એમ કુલ 32 હજાર માંગ્યા હતા. જે લાંચ માંગતા ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. ખાનગી વ્યક્તિ સહિત ત્રણેય લાંચ લેતા ACBના હાથે ઝડપાયા ACBએ લાંચ માટેનું છટકું ગોઠવ્યું હતું. ફરિયાદી આરોપી ભાગ્યેશના કહ્યા મુજબ લાંચ આપવા તૈયાર થઈ ગયા હતા ત્યારે ભાગ્યેશ વતી જય પંચોલીએ વાત કરીને મળવાનું નક્કી કર્યું હતું. ફરિયાદીને લાંચ લેવા કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે બોલાવ્યા હતા. જ્યાં લાંચ લેવા સંદીપ પ્રજાપતિ નામનો ખાનગી વ્યક્તિ આવ્યો હતો. જોકે ACBએ ખાનગી વ્યક્તિ સહિત ત્રણેયને લાંચ લેતા ઝડપી લીધા હતા. કલેક્ટર કચેરીનું અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તેની તપાસ શરૂલાંચ કેસના ત્રણેય આરોપીઓની ઉંમર 22થી 27 વર્ષની છે, જેમાં જય પંચોલી સરસપુરનો રહેવાઈ છે, ભાગ્યેશ સોલંકી અમરાઈવાડી અને સંદીપ પ્રજાપતિ સરસપુરનો રહેવાસી છે. આ લાંચ કેસમાં કલેક્ટર કચેરીનું અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 9:34 am

ઈમેઈલ સ્પુફિંગ દ્વારા લાખોની ઠગાઈ:ગાંધીનગરની ફાર્મા કંપનીને વેન્ડરના નામે ફેક ઈમેઈલ મોકલ્યો, ઠગબાજોએ વિશ્વાસમાં લઈ રૂ. 10.80 લાખનો ચૂનો લગાવ્યો

ગાંધીનગરના સાંતેજ સ્થિત એક ફાર્મા અને ફૂડ્સ કંપની સાથે ઈમેઈલ આઈડીમાં ફેરાફાર કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા ગઠિયાઓએ કંપનીના સત્તાવાર વેન્ડરના નામે ખોટો ઈમેઈલ કરી કુલ રૂ .10.80 લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતા ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગૂનો નોંધવામાં આવ્યો છે. શ્રી એડિટિવ્સ ફાર્મા એન્ડ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે છેતરપિંડીકલોલ ખાતે રહેતા પવન સાહેબરાવ વાઘ સાંતેજમાં આવેલી શ્રી એડિટિવ્સ ફાર્મા એન્ડ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડમાં ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમણે આ અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ કંપનીના નંદાસણ યુનિટના સેટઅપ માટે મુંબઈની ડિઝાઇન સંયોજક નામની ફર્મ સાથે કામકાજ ચાલતું હતું. અસલ વેન્ડર જેવા જ દેખાતા ખોટા ઈમેલ આઈડી પરથી મેલ મળ્યોઆ ફર્મના બાકી પેમેન્ટ માટે કંપનીના ફાઇનાન્સ ડાયરેક્ટર નીરાલીબેન પટેલ સાથે ઈમેઈલ પર વાતચીત ચાલી રહી હતી. દરમિયાન 15 ઓક્ટોબર 2025ના રોજ અસલ વેન્ડર જેવા જ દેખાતા ખોટા ઈમેઈલ આઈડી પરથી નીરાલીબેનને મેઈલ મળ્યો હતો. જેમાં જણાવાયું હતું કે ડિઝાઇન સંયોજક ફર્મનું બેંક એકાઉન્ટ હાલમાં ઓડિટમાં હોવાથી પેમેન્ટ અન્ય ખાતામાં કરવાનું રહેશે. કંપનીએ વિગતો સાચી માનીને RTGS દ્વારા 10.80 લાખ ટ્રાન્સફર કરી દીધાબાદમાં ગઠિયાઓએ શ્રી નમો એન્ટરપ્રાઈઝના નામે પંજાબ નેશનલ બેંકની વિગતો મોકલી આપી હતી અને કંપનીએ આ વિગતો સાચી માનીને RTGS દ્વારા 10 લાખ 80 હજાર ટ્રાન્સફર કરી દીધા હતા. જોકે દિવાળીની રજાઓ બાદ આસિસ્ટન્ટ મેનેજર પવન વાઘે વેન્ડર કંપનીના મેનેજર શ્રીધર દદનાલા સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે, તેમણે આવો કોઈ ઈ-મેઈલ મોકલ્યો નથી કે તેમનું કોઈ એકાઉન્ટ ઓડિટમાં નથી. ગઠિયાઓએ પેમેન્ટ મળ્યાના બીજા જ દિવસે રકમ ઉપાડી લીધીજે અંગે ઊંડાણ પૂર્વક તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે ઠગબાજોએ કંપનીના અને વેન્ડરના નામને મળતા આવતા અનેક ફેક ઈમેઈલ આઈડી બનાવ્યા હતા. ગઠિયાઓએ પેમેન્ટ મળ્યાના બીજા જ દિવસે એટલે કે 16 ઓક્ટોબરના રોજ ચેક દ્વારા તમામ રકમ ઉપાડી લીધી હતી. આ મામલે સાયબર હેલ્પલાઇન 1930 પર જાણ કર્યા બાદ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 9:19 am

શાયોના વિદ્યાલયે બોટાદમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું:જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મહાનુભાવોના સ્મારકોની સફાઈ કરાઈ

બોટાદની શાયોના વિદ્યાલય દ્વારા સ્વચ્છતા અને સામાજિક જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા મહાનુભાવોના સ્મારકોની આસપાસ સફાઈ કરવામાં આવી હતી. મૂર્તિઓને સૂતર અને ફૂલગુચ્છ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને સ્વચ્છતાનું મહત્વ અને સમાજ પ્રત્યેની તેમની જવાબદારી અંગે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું, જેથી તેઓમાં સામાજિક ચેતના જાગૃત થાય. અભિયાન દરમિયાન સરદાર પટેલ પાટીદાર વિસ્તારમાં નાગલપરના દરવાજે ભારતીય સૈનિકની મૂર્તિ, તુરખા રોડ પર ખેડૂત મિત્રોની મૂર્તિ, હાઈસ્કૂલ પાસે ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા, હવેલી ચોકમાં કવિ બોટાદકરની પ્રતિમા, BJP ઓફિસ પાસે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમા, સોનાવાલા હોસ્પિટલ પાસે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા અને જૂના માર્કેટિંગ યાર્ડ પાસે વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સફાઈ અને સજાવટ કરવામાં આવી હતી. આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ અને મહાનુભાવો પ્રત્યે આદરભાવ જોવા મળ્યો હતો. સ્થાનિક નાગરિકોએ પણ આ કાર્યની પ્રશંસા કરી હતી. શાયોના વિદ્યાલય બોટાદના આચાર્ય નિલેશભાઈ ડાબસરા, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ સમગ્ર કાર્યક્રમમાં સક્રિય ભાગ લીધો હતો. આ સ્વચ્છતા અભિયાન સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થયું છે. શાળા દ્વારા ભવિષ્યમાં પણ આવા જ લોકહિતના કાર્યો ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 9:10 am

ગીર સોમનાથ પોલીસે સજા વોરંટનો આરોપી પકડ્યો:અમદાવાદના કેસમાં વર્ષોથી નાસતો ફરતો હતો

ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ સીટી પોલીસે સજા વોરંટના કામે વર્ષોથી નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમી મુજબ, એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, કોર્ટ નં. 25, અમદાવાદ સીટી ખાતે નોંધાયેલા ક્રિ.૫.અ. નં.10982/2024ના કેસમાં સજા વોરંટ ધરાવતો આરોપી અનવરઅલી મો. ઉમર ઉર્ફે ગામા શાહ (ઉંમર 31 વર્ષ) લાંબા સમયથી ફરાર હતો. આરોપી વેરાવળ વિસ્તારમાં જ ગુપ્ત રીતે રહેતો હોવાની માહિતી મળતાં, વેરાવળ સીટી પોલીસના સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. બાતમીના આધારે, પોલીસે વેરાવળ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો. પકડાયેલ આરોપી હાલ વેરાવળના ગ્રીનપાર્ક સોસાયટી, અલીભાઈ ફ્લોર ફેક્ટરી સામે, તાલાળા ચોકડી, સોમનાથ ટોકીઝ વિસ્તારમાં રહેતો હતો. તેનું મૂળ વતન ઉત્તર પ્રદેશ રાજ્યના બલરામપુર જિલ્લાના ઉતરોલા તાલુકાના રૈરા બજાર થાણા હેઠળ આવેલું બનજરીયા (દુલહિયા) ગામ છે. આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને સજા વોરંટના અનુસંધાને કોર્ટ સમક્ષ રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગીર સોમનાથ પોલીસની આ સતત કાર્યવાહીથી ગુનાહિત તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે અને સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ મજબૂત બન્યો છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 9:08 am

રાધનપુરમાં 8 વર્ષ પહેલા બાળકીના મોત કેસમાં ચુકાદો:બાઇકચાલકને 3 વર્ષની સખ્તકેદ, ₹4500 દંડ

રાધનપુર સેસન્સ કોર્ટે આઠ વર્ષ પહેલા થયેલા એક અકસ્માત કેસમાં ચુકાદો આપ્યો છે. આ કેસમાં નવ વર્ષની બાળકીનું મોત નીપજાવનાર બાઇક ચાલક અબ્દુલ કાદર મેમદભાઈ ઘાંચી (રહે. રાધનપુર)ને ત્રણ વર્ષની સખ્તકેદ અને 4500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કેસમાં સરકારી વકીલ શંકરભાઈ કે. પટેલે રજૂઆત કરી હતી. આ ઘટના 17 ડિસેમ્બર, 2017 ના રોજ રાધનપુર નગરના ભીડભાડવાળા મેઈન બજારમાં બની હતી. આરોપી અબ્દુલ કાદર પોતાનું બાઇક રાધનપુરના રાજગઢીથી પૂરઝડપે અને રોંગ સાઇડમાં ચલાવી રહ્યો હતો. મંડાઈ ચોકથી રાજગઢી તરફ જઈ રહેલા બે બાળકો પૈકી, તેણે નવ વર્ષની બાળકી દિવ્યાબેનને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાળકી બાઇક સાથે 10-15 ફૂટ સુધી ઢસડાઈને ફંગોળાઈ હતી. તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને લોહી વહેવા લાગ્યું હતું. અકસ્માત બાદ બાઇક ચાલક પણ નીચે પટકાયો હતો, પરંતુ તે પોતાનું બાઇક બાજુમાં મૂકીને રિક્ષામાં બેસીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ બનતા ત્યાં હાજર કડિયાકામ કરતા ભરતભાઈ કડિયા (ઉં.વ. 45), તેમના પત્ની અને એક શાકવાળી મહિલાએ બાળકીને તાત્કાલિક રિક્ષામાં સારવાર માટે હોસ્પિટલ પહોંચાડી હતી. ગંભીર રીતે ઘાયલ બાળકી દિવ્યાબેનના પરિવારને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન બાળકીનું દુઃખદ અવસાન થયું હતું. આ અંગે પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધ્યો હતો. આ કેસ રાધનપુરની સેસન્સ કોર્ટમાં ચાલ્યો હતો. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, સેસન્સ જજ આર.આર. ચૌધરીએ આરોપીને આઈપીસી કલમ 304 હેઠળ ગુનેગાર ઠેરવી ઉપરોક્ત સજા ફટકારી હતી.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 9:00 am

બગદાણા હુમલા પ્રકરણ: 8 શખસે રેગ્યુલર જામીન અરજી મુકી:એક શખસની આગોતરા અરજી પર 30 જાન્યુઆરીએ સુનાવણી, વધુ ત્રણ શખસની પુછપરછ હાથ ધરાઈ

બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર હુમલા પ્રકરણમાં SIT એ તેની તપાસ આગળ ધપાવતા ગતરોજ આ કેસમાં 3 શખસ ભાવનગર રેન્જ કચેરી SIT સમક્ષ હાજર થયા હતા. જે તમામના SIT ટીમે નિવેદન નોંધ્યા હતા. જ્યારે આ પ્રકરણમાં એક શખસે મહુવા કોર્ટમાં પોતાના આગોતરા જામીન મુક્યા છે. તેમજ આ બનાવના જેલમાં રહેલા 8 આરોપીએ રેગ્યુલર જામીન માટે અરજી કરી છે. જેની તા. 30 જાન્યુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. બગદાણા હુમલા કેસમાં અત્યાર સુધીમાં 14 આરોપીની ધરપકડ બગદાણા ચક્યારી બનાવની જાણવા મળતી વિગતો અનુસાર, બગદાણાના કોળી યુવક નવનીત બાલધીયા ઉપર જીવલેણ હુમલા મામલે ગુનો નોંધાયા બાદ પ્રથમ 8 આરોપીઓ ઝડપાયા ત્યાર બાદ SIT ટીમે 6 આરોપીને ઝડપી પાડ્યા છે. ત્યારે આ બનાવમાં અત્યાર સુધીમાં 14 આરોપીની ધરપકડ થઈ ચુકી છે. છેલ્લે ભોગબનનારે આક્ષેપ કર્યો હતો તે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહીરની SIT એ પુછપરછ કર્યા બાદ તેના વિરુદ્ધ પુરાવા મળતા ધરપકડ કરી મહુવા કોર્ટમાં રજૂ કર્યા બાદ જયરાજ આહીરને તા.25 જાન્યુઆરીના જિલ્લા જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો. 3 શખસ ભાવનગર રેન્જ કચેરી SIT સમક્ષ હાજર થયાબગદાણાના ચક્યારી પ્રકરણે ગતરોજ બગદાણાના શૈલેષ બારૈયા, પ્રવિણ બાંભણીયા અને દિનેશ ઉર્ફે દીનો SIT સમક્ષ હાજર થયા હતા અને તેઓની પુછપરછ કરવામાં આવી હતી અને નિવેદન લેવામાં આવ્યા હતા. ત્યારે બગદાણા ગામે રહેતા પાતુભાઈ ભુથાભાઈ ભાદરકાએ પોતાના વકિલ મારફતે મહુવા એડિશનલ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી છે. જેની સુનવણી તા.30 જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. ભુથાભાઈ ભાદરકાએ આગોતરા જામીન અરજી મુકીઆ બનાવમાં 14 આરોપીને પોલીસે પકડી પાડી જેલ હવાલે કર્યા છે. જે 14 પૈકીના 8 આરોપી રાજુ દેવાયતભાઈ ભમ્મર, વિરૂ મધુભાઈ સયડા, આતુ ઓધડભાઈ ભમ્મર, ભાવેશ ભગવાનભાઈ છેલાણા, વિરેન્દ્ર જેરામભાઈ પરમાર, પંકજ માવજીભાઈ મેર, સની ઉર્ફે સતીષ વિજયભાઈ વનાલીયા, ઉત્તમ ભરતભાઇ બાંભણીયાએ જેલ મુક્ત થવા માટે તેના વકિલ મારફતે મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી છે. જેની સુનાવણી તા.30 જાન્યુઆરીના રોજ મહુવા એડિશનલ કોર્ટમાં હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 8:57 am

ગોંડલના અમિત ખૂંટ આત્મહત્યા કેસ:8 મહિનાથી ફરાર મુખ્ય આરોપી જૂનાગઢથી ઝડપાયો

ગોંડલના ચકચારી અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. આ કેસનો મુખ્ય આરોપી રહીમ અબ્દુલભાઈ મકરાણી, જે છેલ્લા આઠ મહિનાથી ફરાર હતો અને કોર્ટ દ્વારા તેને ફરારી જાહેર કરાયો હતો, તેને જૂનાગઢ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચનાથી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત LCB પી.આઈ. વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ગમારાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, અમિત ખૂંટ આત્મહત્યા કેસનો આરોપી રહીમ અબ્દુલભાઈ મકરાણી હાલ જૂનાગઢના દોલતપરા સ્થિત પોતાના ઘરે છુપાયેલો છે. આ બાતમીના આધારે LCB ની ટીમે તાત્કાલિક જૂનાગઢ ખાતે દરોડો પાડી આરોપી રહીમ મકરાણીને ઝડપી લીધો હતો. પકડાયેલ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 108 અને 61(2) મુજબ ગુનો નોંધાયેલો છે. રહીમ મકરાણી છેલ્લા આઠ મહિનાથી પોલીસની પકડથી દૂર હતો. રાજકોટ ગ્રામ્ય LCB એ આરોપીનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. ઝડપાયેલ આરોપીને આગળની કાર્યવાહી માટે જેતપુર PI એ.ડી. પરમારને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં LCB ના પી.આઈ. ઓડેદરા, પી.એસ.આઈ. ભીમાણી, ગોહિલ તથા અન્ય સ્ટાફના માણસો જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 8:54 am

પશ્ચિમ રેલવે બે વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવશે:સાબરમતી–બિકાનેર અને પોરબંદર–જોધપુર વચ્ચે વન-વે સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત

રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની વધતી માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી–બિકાનેર તેમજ પોરબંદર–જોધપુર વચ્ચે બે વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંને ટ્રેનો વિશેષ ભાડા પર દોડશે. સાબરમતી–બિકાનેર વન-વે સ્પેશિયલ 30 જાન્યુઆરીએ સાંજે 5:50 વાગ્યે ઉપડશેટ્રેન નંબર 09491 સાબરમતી–બિકાનેર વન-વે સ્પેશિયલ શુક્રવાર, 30 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 5:50 વાગ્યે સાબરમતી સ્ટેશન પરથી રવાના થશે અને બીજા દિવસે સવારે 6:30 વાગ્યે બિકાનેર પહોંચશે. આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, જોધપુર અને નાગૌર સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ ઉપલબ્ધ રહેશે. પોરબંદર–જોધપુર વન-વે સ્પેશિયલ 1 ફેબ્રુઆરીએ સાંજે 7:40 વાગ્યે ઉપડશેતે જ રીતે, ટ્રેન નંબર 09291 પોરબંદર–જોધપુર વન-વે સ્પેશિયલ રવિવાર, 1 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે 7:40 વાગ્યે પોરબંદરથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે બપોરે 1 વાગ્યે જોધપુર પહોંચશે. આ ટ્રેન વાંસજાલિયા, લાલપુર જામ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ અને સમદડી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં પણ સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ રહેશે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 8:33 am

રાજકીય સન્માન સાથે આજે બારામતીમાં અજિત પવારના અંતિમ સંસ્કાર, મહારાષ્ટ્રમાં 3 દિવસનો શોક

Ajit Pawar Plane Crash News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે વિમાન દુર્ઘટનામાં આકસ્મિક નિધન થયા બાદ આજે ગુરુવારે તેમના અંતિમ સંસ્કાર તેમના જ રાજકીય ગઢ બારામતીમાં કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. Ajit Pawar Funeral LIVE 9 વાગ્યે તેમની અંતિમ યાત્રા શરૂ થશે અજિત પવારનો પાર્થિવ દેહ હાલમાં હોસ્પિટલથી તેમના નિવાસસ્થાન કાટેવાડી ખાતે લઈ જવામાં આવશે, જ્યાંથી સવારે 9 વાગ્યે તેમની અંતિમ યાત્રા શરૂ થશે.

ગુજરાત સમાચાર 29 Jan 2026 8:23 am

ભાવનગરના બોરતળાવમાં સિગલ પક્ષીઓનું આગમન:સ્થાનિક જળચર જીવો સાથે અનોખી મિત્રતાના દ્રશ્યો સર્જાયા

ભાવનગર શહેરના ગૌરીશંકર સરોવર (બોરતળાવ) ખાતે 28 જાન્યુઆરીના રોજ સિગલ પક્ષીઓનું આગમન થયું હતું. આ પક્ષીઓ સ્થાનિક લોકો અને પર્યાવરણ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ સિગલ પક્ષીઓ સામાન્ય રીતે દરિયાકિનારાના વિસ્તારોમાં જોવા મળે છે અને લાંબા અંતરની યાત્રા કરીને અહીં પહોંચ્યા છે. તેઓ બોરતળાવના જળચર જીવો સાથે હળીમળીને રહેતા જોવા મળ્યા હતા. આ દ્રશ્યોએ ભાવનગરના પર્યાવરણ અને પક્ષીજીવનમાં એક નવો રંગ ઉમેર્યો છે, જે પ્રકૃતિપ્રેમીઓ માટે આનંદનો વિષય બન્યો છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 8:00 am

‘અંબે-2A’માં હાઇડ્રોકાર્બન (ગેસ) મળ્યાની માહિતી:ખંભાતના અખાતમાં અંબે બ્લોકમાં કુદરતી ગેસનો વિશાળ જથ્થો મળ્યો

વેદાંતા ગ્રુપની કંપની અને ભારતની સૌથી મોટી પ્રાઇવેટ તેલ અને ગેસ એક્સપ્લોરેશન તથા પ્રોડક્શન કંપની કેયર્ન ઓઇલ એન્ડ ગેસે વેસ્ટ કોસ્ટ પર અરબી સમુદ્રમાં ખંભાતના અખાતમાં આવેલા તેના એપ્રેઝલ વેલ ‘અંબે-2A’માં હાઇડ્રોકાર્બન (ગેસ) મળ્યાની માહિતી ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હાઇડ્રોકાર્બન્સ (DGH) અને પેટ્રોલિયમ તથા કુદરતી ગેસ મંત્રાલયને આપી છે. આ શોધ મુખ્ય ગેસ ફીલ્ડની નીચે આવેલા રિઝર્વોયરમાં, માયોસીન-તારકેશ્વર ફોર્મેશન (લિગ્નાઇટનો જથ્થો ધરાવતો અખાતનો ભૌગોલિક વિસ્તાર)માં કરવામાં આવી છે. કેયર્ન ઓઇલ એન્ડ ગેસે જણાવ્યું છે કે તેને ગુજરાત નજીક સુરત અને ભાવનગર વચ્ચે દરિયામાં આવેલા અંબે બ્લોકમાં ગેસ મળ્યો છે. આ શોધ મહત્વની છે, કારણ કે વેસ્ટ કોસ્ટ (પશ્ચિમ દરિયાકાંઠે) પર આ પહેલો એવો નાનો ગેસ ફીલ્ડ (DSF) છે, જેમાંથી હવે ગેસ ઉત્પાદન શરૂ કરવાની તૈયારી થઈ રહી છે. આ શોધને ભારતના દરિયાઈ તેલ-ગેસ વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવી રહી છે. કંપનીએ અંબે બ્લોકમાં ખોદવામાં આવેલા ‘અંબે-2A’ નામના કુવામાં ગેસ મળ્યાની જાણકારી સરકારને આપી છે. આ ગેસ જમીનના નીચે આવેલા પથ્થરના સ્તરમાં મળ્યો છે, જે લાખો-કરોડો વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. આથી આ વિસ્તારમાં ગેસનો સારો જથ્થો હોવાની શક્યતા છે. અંબે બ્લોકમાં દરિયાના ઓછી ઊંડાઈવાળા વિસ્તારમાં ત્રણ કુવા ખોદવાની યોજના બનાવાઈ છે, જેથી ગેસ ઉત્પાદન શરૂ કરી શકાય. અંબે બ્લોક કેયર્ન માટે બીજો નાનો ગેસ ફીલ્ડ છે, જેને ગેસ ઉત્પાદન માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પહેલાં કંપનીએ ઉત્તર-પૂર્વ ભારતમાં એક ગેસ ફીલ્ડ સફળતાપૂર્વક મોનેટાઇઝ કર્યું હતું. વર્ષ 2022માં કેયર્નને અંબે બ્લોક ફાળવવામાં આવ્યો હતો અને આ બ્લોકના સંપૂર્ણ અધિકાર કેયર્ન પાસે છે. કેયર્ન દેશના પૂર્વ અને પશ્ચિમ બંને દરિયાઈ વિસ્તારોમાં આવેલા બ્લોક્સ પર કામ કરી રહી છે. આ પ્રયાસ સરકારના ‘સમુદ્ર મંથન મિશન’ સાથે જોડાયેલો છે, જેનો હેતુ દરિયાઈ ઊર્જા સંસાધનોનો વધુ ઉપયોગ કરવાનો છે. કંપનીએ તાજેતરમાં નવી ટેક્નોલોજી અપનાવી છે, જેમાં દરિયાના તળિયે ખાસ પ્રકારનું સ્ટીલ સ્ટ્રક્ચર સ્થાપિત કરવામાં આવ્યું છે. આથી નાનાં ગેસ ફીલ્ડમાંથી ઝડપથી અને સુરક્ષિત રીતે ગેસ કાઢવો સરળ બનશે.કેયર્ન ઓઇલ એન્ડ ગેસ ભારતભરમાં કુલ 44 બ્લોક્સમાં કાર્યરત છે, જેનો વિસ્તાર લગભગ 47,000 ચોરસ કિલોમીટર જેટલો છે. રાજસ્થાન, ગુજરાત, આંધ્ર પ્રદેશ અને આસામમાં કંપનીના ઉત્પાદનક્ષમ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. કંપનીનું લક્ષ્ય દેશના કુલ ઘરેલુ તેલ-ગેસ ઉત્પાદનમાં 50 ટકા યોગદાન આપવાનું છે. ગુજરાતમાં 1279 મિલિયન ક્યુબિક મીટર ગેસનું ઉત્પાદનગુજરાતમાં 2024-25માં 1219 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિટ મીટર કુદરતી ગેસનું ઉત્પાદન થયું હતું. આ મામલે ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે. મુંબઇના દરિયાકિનારે સૌથી વધુ 14 હજાર મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં દરિયાકિનારા સહિત 2025-26ના ડિસેમ્બર સુધી 940 અને મહિનામાં સરેરાશ 100 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસનું ઉત્પાદન થયું છે. ખાસ પ્રકારના મશીનથી સમુદ્રના તળિયે ચોક્કસાઇપૂર્વક ડ્રિલિંગખંભાતના અખાતમાં આવેલા કેયર્નના આ બ્લોકમાં સમુદ્રના તળિયે ખાસ પ્રકારના મશીનથી ડ્રિલિંગ કરવામાં આવ્યું હતું. એસએટી એટલે કે સબ-સી ટેમ્પલેટ નામે ઓળખાતી આ ટેકનોલોજીમાં લોઢાની વજનદાર પ્લેટ (ફ્રેમ)ને સમુદ્રના તળિયે બિછાવવામાં આવે છે. સ્કૂલમાં ડ્રોઇંગ કરતી વખતે સીધી લાઇન દોરાય એ માટે જેમ સ્ટીલની ફૂટપટ્ટી મુકીએ છીએ એ જ રીતે સમુદ્રના તળિયે ફ્રેમ મુકાય છે. જેથી ચોક્કસાઇપૂર્વક ડ્રિલિંગ થાય છે. આ મશીનના કારણે ચોક્કસ જગ્યાએ છેદ કરી શકાય છે. પોણા બે અમદાવાદ જેટલું કદ ધરાવે છે અંબે બ્લોક અહીં સુરત અને ભાવનગર વચ્ચે આવેલા દરિયામાં આવેલા અંબે બ્લોકમાં ગેસનો જથ્થો મળી આવ્યોહાલ કંપની આ ગેસ ફીલ્ડમાંથી કેટલો ગેસ મળી શકે તે અંગે અભ્યાસ કરી રહી છે અને આગળ વધુ બે કુવા ખોદવાની તૈયારીમાં છે. અંદાજે 6થી 8 મહિનાની પ્રક્રિયા બાદ ગેસનો કુલ જથ્થો કેટલો છે અને તેમાંથી કેટલો ગેસ બહાર કાઢી શકાય તેમ છે તેની સ્પષ્ટ માહિતી મળશે. જો ગેસ ઉત્પાદન શરૂ થાય તો દેશમાં ઉપયોગી ગેસ ઉપલબ્ધ થશે

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 7:49 am

ગોલ્ડની રકમમાં 67% વધારો:ગુજરાતીઓની ગોલ્ડ લોન 50 હજાર કરોડ પાર, શમાં ગોલ્ડ લોનની રકમ 15.6 લાખ કરોડ

ગુજરાતમાં લોકો દ્વારા લેવાતી ગોલ્ડ લોનની રકમ 50 હજાર કરોડને પાર થઇ ગઇ છે. ક્રિફ હાઇફ માર્કના રિપોર્ટ મુજબ, એક વર્ષમાં રાજ્યમાં ગોલ્ડની રકમમાં દેશમાં સૌથી વધુ 67% વધારો થયો છે. દેશમાં ગોલ્ડ લોનની રકમ 15.6 લાખ કરોડ છે, તેમાંથી 91% હિસ્સો ગુજરાત સહિત 10 રાજ્યમાં છે. 90 લાખથી વધુ એકાઉન્ટમાં લોન ચાલી રહી છે. ત્રીજા ભાગની ગોલ્ડ લોન 36-45ની ઉંમરના લોકોએ લીધેલી છે. જ્યારે 28% લોન 36થી નાની વયના લોકોએ લીધેલી છે. નવેમ્બર 2025ની સ્થિતિએ કુલ ગોલ્ડ લોનમાંથી 44% લોન મહિલાઓના નામે છે. દેશમાં ગોલ્ડ લોનની રકમ વાર્ષિક 42% વધી છે, જ્યારે લોનની સંખ્યામાં 10.3%નો વધારો થયો છે. મોડા હપતા ભરવાનું વલણ ઘટ્યું : ગોલ્ડ લોનમાં સમયસર હપતા ના ભરાવાની ઘટના સૌથી ઓછી બને છે. જે લોકોના હપતા 1થી 3 મહિના મોડા ચાલી રહ્યા હતા તેમનું પ્રમાણ બે વર્ષમાં 1.6%થી ઘટીને 1.2% થયું છે. જ્યારે 3થી 6 મહિના હપતા મોડા ચાલી રહ્યા હોય તેનું પ્રમાણ પણ 0.6% રહી ગયું છે. સોનાની વધતી કિંમત સાથે લોકોમાં હપતા સમયસર ભરવાનું ચલણ વધ્યું છે. 75% ગોલ્ડ લોન દક્ષિણના રાજ્યોમાં રાજ્ય રકમ વૃદ્ધિ તમિલનાડુ 5.2 લાખ કરોડ 41% આંધ્ર પ્રદેશ 2.6 લાખ કરોડ 37% કર્ણાટક 1.5 લાખ કરોડ 50% તેલંગાણા 1.3 લાખ કરોડ 44% કેરળ 1.2 લાખ કરોડ 33% મહારાષ્ટ્ર 90 હજાર કરોડ 50% ગુજરાત 50 હજાર કરોડ 67% કારણઃ વધતી કિંમત, સૌથી વધુ સુરક્ષિત સોનુંરિપોર્ટ જણાવાયું છે કે, ગોલ્ડ લોનમાં વૃદ્ધિ થવાના કારણોમાં સોનાની વધતી કિંમત અને જામીન તરીકે સોનાનું સૌથી સુરક્ષિત હોવાનું ગણાય છે. 60% લોનની રકમ સરકારી બેન્કો દ્વારા આપવામાં આવી છે. પરંતુ 8 ટકા હિસ્સો એનબીએફસી પણ ધરાવે છે. જ્યારે સક્રિય લોનમાં એનબીએફસીનો હિસ્સો 16.6 ટકા છે. 35% લોન હાઇ રિસ્ક કેટેગરીમાં આવે છેદેશમાં ગોલ્ડ લોનમાંથી 35% લોન હાઇ રિસ્ક કે વેરી હાઇ રિસ્ક કેટેગરીમાં આવે છે. 18% મીડિયમ રિસ્કમાં આવે છે. 2.5 લાખથી વધુ રૂપિયાની લોનનો હિસ્સો 48% છે, જ્યારે 2.5 લાખથી ઓછા મૂલ્યની લોન 52% છે. નાના મૂલ્યની ગોલ્ડ લોનમાં એકંદરે વધુ જોખમ રહેલું છે. 48% ગોલ્ડ લોનમાં ઓછું કે એકદમ ઓછું જોખમ રહેલું છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 7:37 am

અમેરિકાના ટેરિફને ટક્કર આપવા રાજકોટના ઉદ્યોગકારોની 6 માગ:કેન્દ્રીય બજેટ પહેલા એન્જિનિયરીંગ એસોસિએશને નાણામંત્રીને પત્ર લખ્યો, એન્જિનિયરીંગ એક્સપોર્ટ પાર્ક બનાવવાની માગ

પંપ, બેરિંગ, ઓટોપાર્ટસ, કીચનવેર અને હાર્ડવેર સહિતની વસ્તુઓના ઉત્પાદનમાં રાજકોટના ઉદ્યોગોનો દબદબો છે. 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે ત્યારે રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશન દ્વારા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારણમને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. રાજકોટમાં બનતા સબમર્શીબલ પંપ પર GSTનો દર 18 ટકાથી ઘટાડી 5 ટકા કરવા, રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા, કોઈપણ પોર્ટ પર એન્જિનિયરીંગ એક્સપોર્ટ પાર્ક બનાવવા સહિતની 6 માગણીઓ રજૂ કરવામાં આવી છે. રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશનના પ્રમુખ અને અન્ય હોદેદાર સાથે ભાસ્કરે વાતચીત કરી ઉદ્યોગકારોનો મત જાણ્યો હતો. સબમર્શિબલ પંપ પર GST 18 ટકાથી ઘટાડી 5 ટકા કરવામાં આવે- નરેન્દ્ર પાંચાણીરાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પાંચાણીએ જણાવ્યું હતું કે, આ વખતનું બજેટ ખાસ રહેશે ગત વર્ષે USA દ્વારા ટેરિફ લગાવવામાં આવ્યો હતો. એન્જિનિયરીંગ સેકટરને એક તરફ માર પણ પડ્યો હતો એક્સપોર્ટ સાથે સંકળાયેલા ધંધાર્થીઓને થોડી મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો પરંતુ બીજી તરફ GSTનું રિફોર્મેશન થયું તેનો સીધો ફાયદો અને લાભ પણ ઉદ્યોગપતિઓને મળ્યો છે. હજુ પણ આવતા દિવસોમાં જયારે બજેટ આવે ત્યારે રાજકોટ સાથ સંકળાયેલ એવા સબમર્સીબલ પંપ ઉપર છે GST દર છે તેને ઘટાડી 5% સુધી કરી દેવામાં આવે તેવી અમારી માંગ છે. આ ઉપરાંત ટેક્સ સ્લેબમાં પણ થોડો સુધારો કરવામાં આવે તેવી માંગણી છે અને સૌથી અગત્યનું કે રાજકોટમાં બે વર્ષથી રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બન્યું છે પણ ખાલી નામનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે કોઈ ફ્લાઇટ આંતરરાષ્ટ્રીય ચાલુ નથી માટે સરકારને વિનંતી છે કે, ફ્લાઇટ ઓપરેટરો માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરી આ એરપોર્ટને રન કરાવે. ફ્લાઇટ ઓપરેટરોનું જે ટેક્સ ડિડક્શન સરકાર આપશે તેનાથી 10 ગણું વધારે કમાઈને રાજકોટ સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો સરકારને આપશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. કોઈપણ પોર્ટ નજીક એન્જિનિયરીંગ એક્સપોર્ટ પાર્ક બનાવો- સમીર વૈષ્ણવરાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશનના ડિરેક્ટર સમીરભાઈ વૈષ્ણવએ જણાવ્યું હતું કે, હું મેન્યુફેક્ચર અને એક્સપોર્ટના ઉદ્યોગ સાથે જોડાયેલો છું. મારી આવનાર બજેટને લઇ સરકાર પાસ આશા અપેક્ષા છે કે, એન્જિનિયરીંગ એક્સપોર્ટ પાર્ક એક કોઈ પણ પોર્ટ નજીક બનાવી દેવામાં આવે જેનો ફાયદો દરેક એક્સપોર્ટરોને થશે અને આ માંગ બધા જ એકપોર્ટરોની છે. આખા ભારતમાં આ રીતે કોઈ એક્સપોર્ટ પાર્ક નથી જર્મન, જાપાન, અમેરિકા સહિત મોટા ભાગના દેશોમાં આ સુવિધા છે માટે ભારતમાં પણ શરૂ કરવી જોઈએ. બીજી એક માંગ છે કે ઇન્ટ્રેસ્ટ સબસિડી 1% મળે છે તેને 5% સુધી કરવામાં આવે તેવી અમારી આશા અપેક્ષા છે અને ખાસ GST રિફંડ 30 દિવસે મળે છે તે જલ્દીમાં જલ્દી જેટલું વહેલું બની શકે તેટલું વહેલું મળે તેવી વ્યવસ્થા કરી આપે તો તેનો ઉદ્યોગકારોને ફાયદો થઇ શકે. હાર્ડવેર પર GSTનો દર ઘટાડીને 5 ટકા કરો- અશોક નસીતરાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશનના ડિરેક્ટર અશોકભાઈ નસીતએ જણાવ્યું હતું કે, હું હાર્ડવેરના ધંધા સાથે સંકળાયેલો છું. હાર્ડવેરની વસ્તુ એ ઘરમાં વોરંટી વસ્તુ છે સામાન્ય હેન્ડલ જેવી વસ્તુથી લઇ તમામ હાર્ડવેરની વસ્તુ કોઈ લકઝરી વસ્તુ નથી પરંતુ માણસના ઘર માટે વપરાતી જરૂરી વસ્તુ છે આના ઉપર GST 18% લેવામાં આવે છે તે ઘટાડી 5% કરવામાં આવે તેવી અમારી માંગ છે. રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશન દ્વારા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનને આગામી વર્ષ 2026-27ના બજેટને અનુલક્ષી કેટલાક મુદ્દાઓ સમાવેશ કરવા લેખિત રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં તેમને જણાવ્યું હતું કે, રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશન દેશનું સૌથી જૂનું અને સૌથી મોટું ઔદ્યોગિક સંગઠનો પૈકીનું એક એસોસિએશન છે અમારી સાથે 1,000થી વધુ ઔદ્યોગિક એકમો અને વિવિધ એન્જિનિયરિંગ ક્ષેત્રોના 500થી વધુ સહયોગી સભ્યો પ્રતિનિધિત્વ કરે છે. એન્જિનિયરિંગ અને MSME ક્ષેત્રો દ્વારા હાલમાં સામનો કરવામાં આવી રહેલા કેટલાક મુખ્ય પડકારો અંગે ધ્યાન દોરવા માંગીએ છીએ અને ઔદ્યોગિક વિકાસ અને રોજગાર સર્જનના વ્યાપક હિતમાં, આગામી કેન્દ્રીય બજેટ 2026-27માં વિચારણા માટે મુખ્ય 6 મુદ્દાઓ રજૂ કરવા માંગીએ છીએ.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 6:00 am

નેટફ્લિક્સ ટીવી સિરીઝ 'સ્ટ્રેન્જર થીંગ્સ':વાસ્તવિક અને આભાસી સૃષ્ટિને જોડતો સેતુ

આ લખાઇ રહ્યું છે ત્યારે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સની ઓરિજીનલ સિરીઝ 'સ્ટ્રેન્જર થીંગ્સ' 1.2 અબજ લોકો જોઇ ચૂક્યા છે અને આ સાથે નેટફ્લિક્સ પર અત્યાર સુધી સૌથી વધુ જોવાયેલી સિરીઝ તરીકે સ્થાન પામી ચૂકી છે. ભૂત, પ્રેત, રાક્ષસ, પેરાનોર્મલ એક્ટિવિટી, જાતભાતના રહસ્યો અને ભયાવહ કાલ્પનિક દુનિયાની કલ્પના અને કદાચ અનુભવ માણસજાત અસ્તિત્વમાં આવી ત્યારથી કરતો રહ્યો છે. એવું પણ કહી શકાય કે હંમેશાથી આ કલ્પના મનુષ્યમાં ડર, કુતૂહલ અને રસ પેદા કરતી રહી છે. કાળી ચૌદસ, પશ્ચિમી દેશોના હેલોવિન જેવા તહેવારો, તંત્ર-મંત્ર કદાચ એટલે જ અસ્તિત્વમાં આવ્યા. કહે છે કે ચીનમાં ફટાકડાની શોધ પણ દુષ્ટ તત્વોને ભગાડવા માટે કરવામાં આવી હતી. 2016માં પહેલીવાર રિલીઝ થઇ15 જુલાઇ, 2016 નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી અને ડફર બ્રધર્સ તરીકે ઓળખાતા બે ભાઈઓ દ્વારા જેનું સર્જન થયું એ સ્ટ્રેન્જર થીંગ્સ એ એક એવી હોરર-સાયન્સ ફિક્શન અમેરિકન ટેલિવિઝન શ્રેણી છે જેમાં બાળપણથી સાથે રહેલા મિત્રોનું ગ્રુપ એમના નાના શહેરમાં રહેલા દુષ્ટોને ભગાડવાનું બીડું ઝડપે છે. મન્કી માસેક્રે પ્રોડક્શન્સ અને 21 લેપ્સ એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્મિત 2016 માં એની પહેલી સિઝનથી લઇને હાલમાં નવેમ્બરમાં એની પાંચમી અને છેલ્લી સિઝન સુધી અમેરિકાની સરહદ વટાવીને દરેકે દરેક વયના લોકોમાં ધૂમ મચાવી રહી છે. નાનપણથી અતિવિખ્યાત સાયન્સ હોરર નવલકથા લેખક સ્ટીફન કિંગની નવલકથાઓ અને ફિલ્મોના શોખીન રહેલા મેટ અને રોસ ડફર નામના ભાઇઓ જે હવે ડફર બ્રધર્સ તરીકે ઓળખાય છે એવી સૃષ્ટિનું નિર્માણ ટેલિવિઝન પર કરવા માંગતા હતા જેમાં ઇન્વેસ્ટિગેટિવ ડ્રામા, અલૌકિક ભયાનકતા અને જિજ્ઞાસુ, બહાદુર બાળકો હોય. કાલ્પનિક નાના શહેરના રહેવાસીઓ પર આધારિત વાર્તાડફર ભાઇઓએ સર્જન કર્યું એવી વાર્તા, સૃષ્ટિનું જે અમેરિકાના રાજ્ય ઇન્ડિયાનાના કાલ્પનિક નાના શહેર હોકિન્સના રહેવાસીઓ પર કેન્દ્રિત છે. જ્યાં 'ઇલેવન' નામની મનોવૈજ્ઞાનિક ક્ષમતાઓ, સાદી ભાષામાં ખાસ સુપર પાવર ધરાવતી એક નાનકડી છોકરી આવી ચડે છે. હોકિન્સ એક એવું એવું શહેર છે જ્યાં ક્યારેય કંઇ થતું નથી. પણ નજીકની હોકિન્સ નેશનલ લેબોરેટરી, જે દેખીતી રીતે યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી માટે વૈજ્ઞાનિક સંશોધન કરે છે પરંતુ ગુપ્ત રીતે પેરાનોર્મલ પ્રયોગો પણ કરે છે. ક્યારેક જુદી જુદી ક્ષમતા ધરાવતા માનવી સાથે પણ. એ લેબોરેટરી અજાણતાં અપસાઇડ ડાઉન તરીકે ઓળખાતા કાલ્પનિક ડાયમેન્શન (ટાઇમ ટ્રાવેલ માટેની થિયરી વૉર્મ હોલ જેવું) માટે એક પોર્ટલ બનાવે છે. જેની હાજરી હોકિન્સના રહેવાસીઓને અસામાન્ય રીતે અસર કરવાનું શરૂ કરે છે. આ પોર્ટલ સુપર પાવર ધરાવતી 'ઇલેવન' ખોલે છે અને પછી જે રહસ્યો, ધમાલ સર્જાય છે એ નાનકડા નોનહેપનિંગ શહેર હોકિન્સમાં એની વાર્તા છે. ભારતીય મૂળના અને સાયન્સ હોરર વિષયો પર ફિલ્મ બનાવીને જાણીતા થયેલા હોલિવૂડ સર્જક મનોજ નાઇટ શ્યામલનની મૂવી બનાવવાની રીતથી પ્રભાવી અને એમના હાથ નીચે તાલીમ પામેલા ડફર ભાઇઓએ 2015માં બહુ જાણીતી નહીં થયેલી ફિલ્મ 'હિડન' થી આ મૂવી મેકિંગની અદભૂત દુનિયામાં પ્રવેશ કરીને અત્યારે ધમાલ મચાવી રહેલી 'સ્ટ્રેન્જર થીંગ્સ' સુધીની સફર અવ્વલ નંબર સાથે તય કરી છે. બાળ કલાકારો હવે મોટા થઇ ગયાજાણીતી હોલિવૂડ અભિનેત્રી વિનોના રાઇડર, ડેવિડ હાર્બર ઉપરાંત બાળ કલાકારો (જે હવે પુખ્ત વયના થઇ ગયા છે) મિલી બોબી બ્રાઉન, ગેટન માતારાઝો, કેલેબ મેક લોગીન, માયા હોક્સ, નતાલિયા ડાયર, ચાર્લી હિટન, સેડી સિંક, નોહા સનાપ અને જૈમી કેમ્બલ બાવર જેવા બ્રિટિશ, અમેરિકન કલાકારો સાથે બનેલી સ્ટ્રેન્જર થીંગ્સને ઘણા દર્શકો અને વિવેચકો અત્યાર સુધીનો એક શ્રેષ્ઠ શોમાં એની ગણના કરે છે. સ્ટ્રેન્જર થીંગ્સ, મજબૂત પાત્રાલેખન, વાતાવરણ, અભિનય, દિગ્દર્શન, લેખન, સ્પેશિયલ ઇફેક્ટ્સ ઉપરાંત 1980ના દાયકાના સિનેમાનું સંગીત, પાત્રો અને સમયગાળો જેને જોઇને ડફર બ્રધર્સ મોટા થયા એના દ્વારા શ્રદ્ધાંજલિ પણ છે. આ સિરીઝનું મજબૂત એક પાસુ સંગીત છે જે ઇલેક્ટ્રોનિક બેન્ડ સર્વાઇવના માઇકલ સ્ટેઇન અને કાયલ ડિક્સને શો માટે કમ્પોઝ કર્યું છે. જેમાં શોના થીમ સોંગનો પણ સમાવેશ થાય છે. 1980ના દાયકાના કલાકારો અને ફિલ્મ સંગીતકારોને શ્રદ્ધાંજલિ આપવા માટે સિન્થેસાઇઝરનો ઉપયોગ આ શોને અલગ જ ઊંચાઇએ પહોંચાડે છે. સ્ટિવન સ્પીલબર્ગ, જોન કાર્પેન્ટર, ડેવિડ લિંચ, સ્ટિફન કિંગ, વેસ ક્રેવેન, એચ.પી.લવક્રાફ્ટ અને ફ્રોમ સોફ્ટવેરના જેવા દંત કથા સમાન સર્જકો અને વ્યક્તિઓ અને શીત યુદ્ધના યુગના પ્રયોગો અને ગુપ્ત સરકારી કાર્યક્રમો સાથે સંકળાયેલા કાવતરાના સિદ્ધાંતોથી પ્રેરિત આ નેટફ્લિક્સ સિરીઝ બનાવીને ડફર બ્રધર્સે એવી કાલ્પનિક સૃષ્ટિ રચી છે જે આપણી કલ્પનાઓને પણ એક ઉડ્ડયન આપે છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 6:00 am

ડિજિટલ અરેસ્ટની ઇનસાઇડ વિગતો પહેલી જ વાર:વીડિયો કૉલમાં એવું તે શું થયું કે, ONGCનાં મહિલા અધિકારીએ ₹1.36 કરોડ આપી દીધા?

તારીખ: 31 મે 2025 અમદાવાદમાં ONGCમાં ઉચ્ચ અધિકારી એવાં સંગમબેન (નામ બદલ્યું છે)ના મોબાઈલ ઉપર એક કૉલ આવ્યો. સંગમબેને ફોન હાથમાં લઈ સ્ક્રીન પર જોયું. નંબર અજાણ્યો હતો. છતાં તેમણે ઉપાડ્યો. ‘હેલ્લો?’ સંગમબેને કહ્યું. ‘તમારો ફોન બે કલાકમાં બંધ થઈ જશે.’ સામેથી એક સ્ત્રીનો લગભગ ધમકીભર્યો અવાજ આવ્યો. હજુ તો સંગમબેન કશું બોલે કે રિએક્ટ કરે તે પહેલાં ફોન કટ થઈ ગયો. સંગમબેનને કશુંક અજુગતું લાગ્યું, એટલે એમણે એ જ નંબર પર સામેથી કૉલ કર્યો. આ વખતે કોઈ પુરુષે ફોન ઉપાડ્યો. ‘આ નંબર પરથી મને હમણાં કૉલ આવેલો.’ સંગમબેને પૂછ્યું. ‘ઓકે.’ સામેથી કોઈ પુરુષે ભારેખમ અવાજમાં જવાબ વાળ્યો. ‘કોણ છો તમે? અને મારો ફોન શા માટે બંધ થઈ જશે?’ સંગમબેને સ્વાભાવિક સવાલ કર્યો. ‘જુઓ હું TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા)માંથી રાકેશ શર્મા બોલું છું. થોડીવારમાં તમને અમારા સિનિયર ઑફિસરનો ફોન આવશે. રાહ જુઓ.’ કહીને ફરીથી ફોન કટ થઈ ગયો. સંગમબેનની અકળામણ વધી ગઈ. આ તમામ વાતચીત, ટોન બધું જ એકદમ સ્વાભાવિક લાગતું હતું. જે નંબર પરથી કૉલ આવ્યો હતો, તેમાં કોઈ ‘SPAM’ કે ‘આ ફોન ઉપાડશો નહીં’ એવી ચેતવણી પણ આવી નહોતી. સંગમબેને વિચાર્યું, હવે કૉલ આવે ત્યારે વિચારીશું. ‘યુ આર અન્ડર અરેસ્ટ’ થોડીવારમાં એમના પર એક વ્હોટ્સએપ વીડિયો કૉલ આવ્યો. સંગમબેને ઉપાડ્યો. વીડિયો કૉલનો કેમેરા ઑન થતાં જ એમને દેખાયું કે સામે પોલીસ યુનિફોર્મમાં એક ભાઈ બેઠા હતા. એમણે કડક અવાજે કહ્યું, ‘હું બોમ્બે CBIમાંથી વાત કરું છું. કેનેરા બેંકના એક અકાઉન્ટમાં બે કરોડ જેટલી બ્લેક મની આવી છે, જેની સાથે તમારું આધાર કાર્ડ લિંક થયેલું છે. યાને કે તમે પણ આ ફ્રોડમાં સામેલ છો, યુ આર અન્ડર અરેસ્ટ…’ *** ભણેલા, ઉચ્ચ અધિકારીઓ પણ કેવી રીતે ડિજિટલ થાય છે? ‘ડિજિટલ અરેસ્ટ’ નામનો શબ્દ પ્રયોગ છેલ્લાં બે-એક વર્ષમાં આપણે એટલી બધી વાર સાંભળ્યો છે કે આપણે લગભગ તેનાથી ટેવાઈ ગયા છીએ. મોબાઇલ ફોનના માધ્યમથી પોલીસ, CBI કે ઉચ્ચ અધિકારી હોવાનું કહીને સાયબર ગુનેગારો લાખો રૂપિયા પડાવી લે તે સમાચારો હવે લગભગ રોજનો ક્રમ બની ગયા છે. આપણને કદાચ એવું લાગે કે આ પ્રકારના ફ્રોડના ભોગ બનનાર લોકો વૃદ્ધો, ઓછું ભણેલા કે ગામડાંના લોકો હશે. પરંતુ આઠ મહિના પહેલાં અમદાવાદમાં ONGC જેવી ભારત સરકારની પબ્લિક સેક્ટર કંપનીમાં ઊંચા હોદ્દે બિરાજતાં અને અત્યંત શિક્ષિત અધિકારી પણ આ જાળમાં ફસાઈ ગયા હોવાની વાત જાણીએ ત્યારે આપણને આઘાત લાગે. સહેજે આપણને સવાલ થાય કે સાયબર ગઠિયાઓ એવી તે કેવી મોડસ ઓપરેન્ડી વાપરતા હશે, સામેની વ્યક્તિ પર એવું તે કયું વશીકરણ કરતા હશે કે તેઓ પોતાની જીવનભરની કમાણી આપી દેવા તૈયાર થઈ જાય! અહીં શરૂઆતમાં જેમની વાત કરી તે ONGCનાં ઉચ્ચાધિકારી સંગમબેને ડિજિટલ અરેસ્ટ ફ્રોડમાં પાંચ-પચ્ચીસ નહીં, બલકે પૂરા 1.36 કરોડ રૂપિયા જેટલી જંગી રકમ ગુમાવી! કઈ રીતે ચાલે છે ડિજિટલ અરેસ્ટનો આખો ખેલ? અને શું હોય છે ગુનેગારોની મોડસ ઓપરેન્ડી? જાણીએ દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘ડિજિટલ ડાકુ’ના આજના એપિસોડમાં. *** ‘જે પૂછે તેનો સીધેસીધો જવાબ આપજો’ વ્હોટ્સએપ પર આવેલા વીડિયો કૉલમાં સામે પોલિસ યુનિફોર્મ પહેરીને બેઠેલા અધિકારીએ પોતાની ઓળખાણ CBI, મુંબઈના ઑફિસર તરીકે આપી અને કેનેરા બેંકમાં ઠલવાયેલા બ્લેક મનીમાં તેમનું આધાર કાર્ડ લિંક હોવાનું કહીને ‘યુ આર અન્ડર અરેસ્ટ’ કહી દીધું. સાથોસાથ એવું પણ કહ્યું, ‘અમારા સિનિયર ઑફિસર ફોન પર તમારી પૂછપરછ કરશે. એ તમને જે પૂછે તેનો સીધેસીધો જવાબ આપજો અને વિગતો માગે તો લખાવી દેજો.’ ફરીથી ફોન કટ. બધું જ વાંચતાં-સમજતાં, ભણેલાં-ગણેલાં અને દુનિયાથી વાકેફ હોવા છતાં સંગમબેનને કંઇક ભેદી અકળામણ થવા લાગી. તેમને થયું કે આ રીતે ફ્રોડના કિસ્સા છાશવારે થતા રહે છે, પરંતુ રખે ને આ કૉલ સાચો હોય તો? ધારો કે, બે કરોડ રૂપિયાના બ્લેક મનીના ફ્રોડમાં મારું આધાર કાર્ડ વપરાયું હોય, અને આ ફ્રોડને કારણે મારા કરિયરને ડાઘ લાગે તો? હવે આગળ શું કરવું? કોઇને વાત કરવી કે પડશે એવા દેવાશે એ ન્યાયે ચૂપ રહેવું? સંગમબેન આ ગડમથલમાં ફસાયેલાં હતાં ત્યાં જ ફરી પાછો એમના મોબાઇલમાં વ્હોટ્સએપ કૉલ રણક્યો. આ વખતે ઑડિયો કૉલ હતો. સંગમબેને કૉલ રિસીવ કર્યો. ‘તમારો ફોન અમારા ટ્રેકિંગમાં જ રહેશે, ઘરમાંથી બહાર નીકળશો નહીં’ ‘મારા કલીગે તમને માહિતી આપી એ પ્રમાણે, તમારી વિરુદ્ધમાં અરેસ્ટ વૉરંટ નીકળ્યું છે. જેથી તમારી વધારે પૂછપરછ કરવી પડશે. તમે તમારો ફોન બંધ કરતા નહીં. તમારા મોબાઈલ ફોનનું રિચાર્જ ઓછું હોય તો તમે પહેલાં રિચાર્જ કરાવી આવો. તમારો મોબાઈલ અમારા ટ્રેકિંગમાં જ રહેશે અને તમારા ઘરમાં કોઈને આવવા ન દેતા અને તમે પણ અમને પૂછ્યા વગર ક્યાંય જતાં નહીં. તમારે કોઈ નો ફોન પણ રિસીવ કરવાનો નથી.’ આ પ્રકારની વાતો સાંભળીને સંગમ બહેન ગભરાઈ ગયાં. બાદમાં તે અધિકારીએ પૂછપરછ શરૂ કરી. પહેલા સવાલમાં પૂછ્યું, ‘તમારા ઘરમાં કોણ કોણ છે?’ સામે સંગમ બહેને જવાબ આપ્યો, ‘હું અને મારી મમ્મી બંને એકલાં રહીએ છીએ.’ ‘તમારાં મમ્મીનો પણ નંબર આપો, તેને પણ ટ્રેકિંગમાં મૂકવો પડશે.’ સંગમ બહેને ડરતાં ડરતાં તેમનાં મમ્મીનો નંબર લખાવ્યો. ત્યારબાદ સામે છેડેથી કહેવાયું કે તમારે એક એપ્લિકેશન લખવી પડશે. હું તમને સમજાવું તેવી રીતે લખજો. અધિકારીના કહ્યા મુજબ સંગમ બહેને ગુજરાતીમાં રિક્વેસ્ટ એપ્લિકેશન લખીને તેમના વ્હોટ્સએપ નંબર પર મોકલી આપી. જેથી અધિકારીએ આ એપ્લિકેશન ઉપર સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનનો સિક્કો મારી સંગમ બેનને પરત મોકલી આપી. સુપ્રીમ કોર્ટ બાર એસો.ના નામની એપ્લિકેશન આવી હવે તો ‘સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન’નો સિક્કો વાગી ગયો હતો. સંગમબેનને પાક્કી ખાતરી થઇ ગઇ કે તેમની વિરુદ્ધમાં અરેસ્ટ વોરંટ નીકળ્યું છે. ત્યારબાદ અધિકારીએ કહ્યું, ‘જો તમારે અરેસ્ટ ન થવું હોય અને તમે ઇચ્છતાં હો કે અમે તમારી ફરિયાદનું નિરાકરણ જલ્દી લાવી દઈએ, તો અમારી પાસે એક રસ્તો છે…’ આવું કહીને ફોન કટ કરી નાખ્યો. કોઈ ઉપાય નહીં, કોઈ ચોખવટ નહીં. સંગમબેનને બિલકુલ અધવચ્ચે સસ્પેન્સમાં લટકાવીને સામે છેડેથી ફોન કપાઈ ગયો. ‘જસ્ટિસ ગોગાઈ સાહેબ તમારી સાથે વાત કરશે’ 1 જુન 2025 સંગમબહેનને ફરીથી વ્હોટ્સએપ પર એક કોલ આવ્યો. તેમાં કહેવામાં આવ્યું કે અમે તમને વ્હોટ્સએપ પર કેટલાક પ્રશ્નો લખીને મોકલીએ છીએ. તેના જવાબ તમે અમને લખીને મોકલી આપો. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 2 જૂને સવારે 10:00 વાગ્યાની આસપાસ સંગમબહેનના મોબાઈલ પર ફરીથી એક વીડિયો કોલ આવ્યો સામેથી એક વ્યક્તિએ કહ્યું કે, ‘હું બોમ્બે CBIમાંથી મેનેજર બોલું છું. અમારા જજ ગોગાઈ સાહેબ તમારી સાથે વાત કરશે. તમે ફોન ચાલુ રાખજો. ત્યારબાદ થોડીવાર પછી જજ ગોગાઈ સાહેબ સ્ક્રીન પર પ્રગટ થયા, જે કોર્ટમાં બેઠા હતા. તેમણે સંગમ બહેનને પહેલાં પૂછ્યું તમારું આધાર કાર્ડ બતાવો. વીડિયો કોલમાં કોર્ટનો બધો માહોલ જોઈને સંગમ બહેન ગભરાઈ ગયાં હતાં, જેથી સંગમ બહેને તેમનું આધારકાર્ડ બતાવ્યું. સામે જજ સાહેબે પૂછ્યું કે, તમારા ખાતામાં પૈસા ક્યાંથી આવ્યા છે? લીગલ છે કે નહીં? આની તપાસ માટે અમે એક ઓર્ડર લખ્યો છે. આ ઓર્ડર તમને વ્હોટ્સએપ પર મળી જશે, તમે તે વાંચી લેજો. ‘રિઝર્વ બેંક તમારા ₹36 લાખનું વેરિફિકેશન કરશે’ ત્યારબાદ સંગમબહેનને પૂછવામાં આવ્યું કે, તમારા ખાતામાં કેટલા રૂપિયા પડ્યા છે? સંગમબેને જવાબ આપતાં કહ્યું કે, મારા ખાતામાં 36 લાખ રૂપિયા છે. જજે કડક અવાજે કહ્યું, ‘રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા તમારા આ રૂપિયાનું વેરિફિકેશન કરશે.’ બાદમાં આ જજે સંગમ બહેનને ડરાવી ધમકાવીને ‘ઇન્ડસઇન્ડ બેંક’ના એક એકાઉન્ટની માહિતી આપી અને કહેવામાં આવ્યું કે તમે વેરિફિકેશન માટે આ ખાતામાં 36 લાખ રૂપિયા નાખી દો. આ એકાઉન્ટ ‘એ. આર. ઈન્ફોટેક’ના નામે હતું. સંગમબહેન ગભરાઈ ગયાં હતાં એટલે તાત્કાલિક તેઓ તેમની બેંકમાં પહોંચ્યા અને RTGS મારફતે ઇન્ડસઇન્ડ બેંકમાં 36 લાખ રૂપિયા તે જ ક્ષણે ટ્રાન્સફર કરાવી આપ્યા. ‘તમારી ₹35 લાખની FDનું પણ વેરિફિકેશન કરવું પડશે’ પરંતુ આ સિલસિલો અહીંથી ન અટક્યો. આ રૂપિયા ટ્રાન્સફર કર્યાના ત્રીજા દિવસે એટલે કે 3 જૂનના રોજ સંગમબેનને ફરીથી એક વ્હોટ્સએપ કોલ આવ્યો અને કહેવામાં આવ્યું કે, ‘તમારી પાસે જે FD (ફિક્સ્ડ ડિપોઝિટ) છે તેનું પણ વેરિફિકેશન કરવું પડશે. તમને બેન્ક ઓફ મહારાષ્ટ્રનો એક એકાઉન્ટ નંબર મોકલી આપીએ છીએ. તેમાં આ પૈસા ટ્રાન્સફર કરી નાખજો.’ આવું સાંભળીને સંગમબેન ખૂબ જ ગભરાઈ ગયાં અને ફરીથી તેમની બેંકમાં ગયા અને અને પોતાના ખાતામાંથી બેંક ઓફ મહારાષ્ટ્રવાળા ખાતામાં 35 લાખ રૂપિયા RTGS મારફતે ટ્રાન્સફર કરી દીધા. ‘₹15 લાખ ટ્રાન્સફર કરી આપો’ 3 જૂન બાદ 4 જૂને સંગમ બહેનને ફરી એક વ્હોટ્સએપ કોલ આવ્યો અને કહેવામાં આવ્યું કે, ‘તમારી પાસે બાકી રહેલી FDનું પણ વેરિફિકેશન કરવું પડશે. હાલમાં તમે ઇન્વેસ્ટિગેશનમાં છો. આની જાણ તમે કોઈને કરતાં નહીં. અમે તમને બેન્ક ઓફ મહારાષ્ટ્રનું અન્ય એક ખાતું મોકલી આપીએ છીએ. તેમાં તમે પૈસા ટ્રાન્સફર કરી નાખો. ગભરાયેલાં સંગમબેન ફરી પોતાની બેંકમાં ગયાં અને સામેથી આવેલા બેંક ઑફ મહારાષ્ટ્રના એકાઉન્ટ નંબરમાં બીજા 15 લાખ રૂપિયા RTGS કરી નાખ્યા. ‘તમારાં મમ્મીનું એકાઉન્ટ પણ ચેક કરવું પડશે’ આ રીતે સંગમબહેને ત્રણ દિવસમાં 86 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. પાંચ જૂનના રોજ ફરી સંગમ બહેનને વ્હોટ્સએપ કોલ આવ્યો. આ વખતે તેમને કહેવામાં આવ્યું કે તમારાં મમ્મીના બેન્ક એકાઉન્ટનું પણ વેરિફિકેશન કરવું પડશે. અમે તમને યસ બેન્કનો એક એકાઉન્ટ નંબર મોકલી આપીએ છીએ, જેમાં તમે રૂપિયા ટ્રાન્સફર કરી દો. સંગમબહેન તો પહેલેથી જ ગભરાયેલાં હતાં. તેમને CBIમાંથી વોરંટ નીકળશે તેવી બીક હતી એટલે તેમનાં મમ્મીને લઈને પોતાની બેંકમાં પહોંચી ગયાં અને યસ બેન્કના એકાઉન્ટમાં બીજા 35 લાખ રૂપિયા RTGS કરી નાખ્યાં. છ દિવસમાં સંગમ બહેને ₹1.36 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધાં! પછી 6 જૂને સંગમબેનને વ્હોટ્સએપ કોલ પર ફરી ફોન આવ્યો. તેમને કહેવામાં આવ્યું કે, તમારી મમ્મીના એકાઉન્ટમાં રહેલી બાકી FDનું પણ વેરિફિકેશન કરવું પડશે. અમે તમને મહારાષ્ટ્ર બેંકનો એકાઉન્ટ નંબર મોકલી આપીએ છીએ. તેમાં તમે બીજા રૂપિયા નાખી દેજો. સંગમ બહેન તેમનાં મમ્મીને લઈને ફરી પોતાની બેંકમાં ગયાં અને બીજા 15 લાખ રૂપિયા મહારાષ્ટ્ર બેંકના એકાઉન્ટ નંબર પર ટ્રાન્સફર કરી દીધા. થોડા સમય પછી સંગમબેનને ફરીથી ફોન આવ્યો. આ વખતે તેમને કહેવામાં આવ્યું કે તમારા રૂપિયાનું વેરિફિકેશન થઈ ગયું છે. તમારા રૂપિયા કોઈ બ્લેક મની નથી. આ તમામ પૈસા તમને પાછા મળી જશે. આવું સાંભળતાં જ સંગમબેનને હાશકારો થયો. પરંતુ અત્યાર સુધીમાં સંગમબેને તે અજાણ્યા કૉલર્સ અને CBIના કથિત અધિકારીઓને 1 કરોડ ને 36 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા! ‘પૈસા પાછા જોઇતા હોય તો બીજા ₹50 લાખ ભરવા પડશે!’ હવે તેમની સમક્ષ નવો પાસો ફેંકવામાં આવ્યો. તેમને કૉલ પર કહેવામાં આવ્યું કે, ‘જો આ તમામ રૂપિયા તમારે પરત લેવા હોય તો બેઇલ સિક્યુરિટી તરીકે બીજા 50 લાખ રૂપિયા ભરવા પડશે.’ ફરી પાછી આટલા બધા રૂપિયાની માગણી થતાં સંગમ બહેને કહ્યું કે, હવે મારી પાસે આટલા બધા રૂપિયા નથી. હું બેંકમાંથી લોન લઈને પછી તમને શાંતિથી જણાવીશ. સંગમબહેન હેરાન પરેશાન થઈ ગયાં હતાં. એક તો તેમણે પોતાના આખા જીવનની કમાણી સમી 1 કરોડ 36 લાખ રૂપિયા જેટલી પ્રચંડ મોટી રકમ અજાણ્યા લોકોને ટ્રાન્સફર કરી દીધી હતી. હવે તેને પરત લેવા માટે બીજા 50 લાખ આપવાના હતા! ‘દીકરી, તારી સાથે બહુ મોટો ફ્રોડ થયો છે’ સંગમબેનનું એકાઉન્ટ ખાલી થઈ ગયું હતું. હતાશ થયેલાં સંગમબેને પોતાના મામાને આ સમગ્ર ઘટનાની માહિતી આપી. મામા વૃદ્ધ હતા, પરંતુ ભણેલા, હોશિયાર અને જમાનો જોયેલા હતા. તેઓ આજના ટેકનોલોજીના જમાનામાં બનતા ફ્રોડથી માહિતગાર પણ હતા. મામાએ સમગ્ર પ્રકરણ જાણીને તરત કહ્યું કે, ‘દીકરી, તારી સાથે એક મોટો ફ્રોડ થયો છે. તને છેતરીને આટલી મસમોટી રકમ પડાવી લેવામાં આવી છે.’ આ સાંભળતાં જ સંગમબહેનના પગ તળેથી જમીન ખસી ગઈ. તેમની જીવનભરની મરણ મૂડી એકઝાટકે ખાલી થઈ ગઈ હતી. સંગમબેન રડવા લાગ્યાં. મામાએ તેમને હિંમત આપતાં કહ્યું, ‘આપણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવી પડશે.’ સંગમ બહેને અમદાવાદ સાયબર ક્રાઈમમાં ડિજિટલ અરેસ્ટ ફ્રોડમાં ₹1.36 કરોડની રકમ ગુમાવી હોવાની ફરિયાદ નોંધાવી. બંધન બેંકવાળો નિશાંત રાઠોડ કોણ હતો? છ દિવસમાં જ આટલી મોટી રકમનો ફ્રોડ થયાની ફરિયાદ મળતાં જ અમદાવાદ સાયબર ક્રાઈમે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો. સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર સી. ટી. દેસાઈની ટીમે તપાસ શરૂ કરી, જેમાં જાણવા મળ્યું કે, 1 કરોડ 36 લાખ રૂપિયા જે અલગ અલગ એકાઉન્ટમાં ગયા છે તેમાંથી 25 લાખ રૂપિયા કોઈ નિશાંત રાઠોડના નામના ‘બંધન બેન્ક’ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે. તેના આધારે સાયબર ક્રાઇમ નિશાંત રાઠોડ સુધી પહોંચી. નિશાંત રાઠોડની પૂછપરછ કરતાં જાણકારી મળી કે, તેણે યશ પટેલના કહેવાથી વસ્ત્રાપુરમાં આવેલી બંધન બેન્કમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. પોલીસે આ યશ પટેલને પણ ઉઠાવી લીધો. આ બંનેની તપાસ કરતાં સામે આવ્યું કે નિશાંત અને યશની સામે અગાઉ પણ ઓનલાઇન છેતરપિંડી બાબતે વડોદરા સાયબર ક્રાઇમમાં ગુના નોંધાયેલા છે. વિદેશમાં બેઠેલા સાયબર માફિયાઓ અહીં ફ્રોડ કરતા નિશાંત અને યશ દ્વારા પોલીસ અન્ય આરોપીઓ કુલદીપ, હિતેશ, જગદીશ અને સિદ્ધરાજ સુધી પહોંચી. પોલીસની વધુ તપાસમાં જાણવા મળ્યું કે, યશ પટેલે આ બેંક એકાઉન્ટ કુલદીપ, હિતેષ, જગદીશ અને સિદ્ધરાજને ઓપરેટ કરવા માટે આપ્યાં હતાં. તે એકાઉન્ટ વિદેશથી ઓપરેટ થતાં હતાં. આ લોકો વિદેશમાં બેઠેલા સાયબર માફિયાઓને બેંક એકાઉન્ટ અને મોબાઇલ નંબર પ્રોવાઇડ કરતા હતા, જેમાં તેમને મોટું કમિશન મળતું હતું. અને જે અધિકારી કે જજ બનીને વાત કરતા હતા તે વિદેશમાં બેસીને આખું રેકેટ ચલાવતા હોય છે અને ફ્રોડના રુપિયા USDT દ્વારા વિદેશમાં મેળવી લેતા હોય છે. સંગમ બહેનને પોતાના રૂપિયા પરત મળ્યા ખરા? આ મામલે અમે ફરિયાદી સંગમ બહેન સાથે ટેલિફોનિક વાતચીત કરી. આટલા મહિના પછી પણ તેઓ પોતાની સાથે થયેલા આ ફ્રોડના આઘાતમાંથી બહાર આવ્યાં નહોતાં. આથી તેમણે મીડિયા સાથે વધુ વિગત આપવાની ના પાડી. પરંતુ અમે તેમને મુદ્દાનો એક સવાલ પૂછ્યો, ‘ઓકે, અમે તમારી ચિંતા અને મનોસ્થિતિ સમજીએ છીએ, પણ તમે એટલું કહી શકો કે તમારા ગયેલા રૂપિયા પરત મળ્યા કે કેમ?’ ખચકાતા અવાજે સંગમ બહેને કહ્યું કે, ‘કુલ રકમમાંથી અમુક રુપિયા પરત મળી ગયા છે, જ્યારે બાકીના હજી સુધી નથી મળ્યા.’

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 6:00 am

સંઘવીએ વખાણ કર્યાં ને કૌશિક વેકરીયા શરમાયા:ગુજરાત ભાજપના નેતાઓએ પોસ્ટરમાં લોચો માર્યો, રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ 'નબીન કે નવીન' એ નક્કી ના કરી શક્યા!

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 6:00 am

લગ્નમાં બગી, ફટાકડા અને નોટો ઉડાડવા પર પ્રતિબંધ:મહેમાન પણ નિયમ તોડે તો ઘરઘણીને દોઢ લાખનો દંડ; સગાઈ, મામેરા, મરણપ્રસંગ માટે ભરવાડ સમાજનું ‘બંધારણ’

આજના સમયે દેખાદેખી, વટ પાડવા અને પોતાને બીજાથી સવાયા બતાવવાની ઘેલછામાં લોકો પાણીની જેમ રૂપિયા વાપરતા ખચકાતા નથી. એમાં પણ પ્રસંગોમાં તો ખર્ચનો આંકડો લાખોમાં પહોંચે છે. આવી પરિસ્થિતિ અને ભવિષ્યના પડકારોનો અંદાજો લગાવીને ગુજરાતના વિવિધ સમાજોના આગેવાનો ઘણા ચિંતિત દેખાઈ રહ્યા છે. લોકો આડાપાટે ન ચડે એ માટે અલગ-અલગ જિલ્લાઓમાં વસતા પાટીદાર, ઠાકોર, રબારી અને બ્રહ્મ સમાજે ઘણા નિયમો ઘડ્યા છે. હવે રિત-રિવાજોમાં સુધારા કરીને સમય સાથે તાલ મિલાવવા માટે ભરવાડ સમાજે પણ પોતાના બંધારણમાં ફેરફાર કર્યો છે. દિવ્ય ભાસ્કરે ચરેલ ગામે પહોંચીને સમસ્ત સાણંદ તાલુકા ભરવાડ સમાજ (25+12 પરગણા)ના મહંત પ્રતાપપુરી બાપુ તેમજ ભરવાડ સમાજના આગેવાનો સહિત ઘણા લોકો સાથે વાતચીત કરી. તેમણે પાસેથી એ જાણવાનો અને સમજવાનો પ્રયાસ કર્યો કે ભરવાડ સમાજમાં અત્યારે સામાજિક ધોરણે કેવા પરિવર્તનો લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે અને તેની જરૂરિયાત ઉભી થવા પાછળના કારણો શું છે. અમને જાણવા મળ્યું કે વર્ષોથી સમાજની શરમના નામે ચાલી આવતી ઘણી ઋઢી અને આધુનિક સમયમાં દેખાદેખીના કારણે શરૂ થયેલી પ્રવૃત્તિને લઈને તેમણે ખૂબ ગંભીરતા દાખવી છે અને કડક નિયમો સહમતીથી લાગુ કર્યા છે. છેલ્લા સાતેક વર્ષથી ચરેલ ખાતે સેવા આપી રહેલા મહંત પ્રતાપપુરી બાપુએ જણાવ્યું, અમારી મુખ્ય ગુરુગાદી થરા છે, જેની બે શાખાઓમાં દ્વારકા અને ચરેલનો સમાવેશ થાય છે. ગોપાલક ભરવાડ સમાજમાંથી કુરિવાજો નાબૂદ થાય અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે એ હેતુથી નવા સામાજિક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. સમાજમાં દીકરીના પૈસા લેવા અને પ્રસંગોમાં થતી આંધળી દેખાદેખી વધી ગઈ છે. તેને દૂર કરવી જરૂરી છે. સમાજ એકજૂથ બને અને દીકરા-દીકરીઓ ભણી-ગણીને આગળ વધે એ માટે ખાસ બેઠક યોજીને વિવિધ ઠરાવો પસાર કરવામાં આવ્યા છે. સાણંદ તાલુકામાં ભરવાડ સમાજની અંદાજે 20થી 25 હજારની વસતિ છે. સમાજમાં સુધારા લાવવા માટે આશરે 40થી વધુ મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા છે. દરેક ગામમાં જઈને લોકોને સમજાવવામાં હતા. ત્યારે ઘણો સારો સહકાર મળ્યો. હવે આ અભિયાનને ગુજરાત કક્ષાએ લઈ જઈ શિક્ષણ, વ્યસનમુક્તિ અને આરોગ્ય ક્ષેત્રે જાગૃતિ ફેલાવવાનું આયોજન છે. ભરવાડ સમાજ માટે નવું બંધારણ બનાવવામાં અનેક લોકોની મહત્વની ભૂમિકા રહી છે. આવા જ એક સામાજિક કાર્યકર રાજુભાઈ ભરવાડ અમને મળ્યા. તેઓ મૂળ મોડાસાના અને હાલ બાવળામાં રહે છે. રાજુભાઈ ભરવાડે સાણંદ તાલુકાના 36 ગામોના ભરવાડ સમાજનો આભાર માનતા કહ્યું, બાપુના આહ્વાનથી મિટિંગનું આયોજન કર્યું હતું. સમાજે કુરિવાજો ત્યાગવાનો મક્કમ નિર્ણય લીધો છે તેનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. સાણંદ તાલુકાના 36 ગામોના ભરવાડ સમાજનો સહકાર મળ્યો છે. રાજુભાઈએ વધુમાં ઉમેર્યું કે, સાણંદ તાલુકામાં એક વર્ષ પહેલાં અમે શરૂઆત કરી હતી. અમારું સારું કામ જોઇને સમાજને ભરોસો આવ્યો કે અન્ય વિસ્તારમાંથી પણ અમને સાથ-સહકાર મળશે. ઘણી જગ્યાએથી અમારી પર ફોન આવે છે. અમારી પાસેથી માહિતી મેળવે છે. મૂળ દદુકાના વતની અને હાલ અમદાવાદ સ્થિત કાળુભાઈ ભરવાડે જણાવ્યું કે, આ બંધારણનો મુખ્ય હેતુ સામાજિક કુરિવાજો અટકાવવાનો છે. આઠેક મહિના પહેલાં ગુરુપૂર્ણિમાના અવસરે મળેલી બેઠકમાં અંદાજે 40 જેટલા ઠરાવો કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી મહત્વનો નિર્ણય એ છે કે અગાઉ સગાઈ કે 'ગોળ ખાવા' જતી વખતે 400થી 500 માણસોને લઈ જવામાં આવતા હતા. આ રિવાજને બદલે હવે માત્ર 21 વ્યક્તિઓને જ સાથે લઈ જવાનો નિયમ ઘડ્યો છે. આ ઉપરાંત લગ્નપ્રસંગોમાં ઘોડી, ડીજે, ગાયક કલાકાર બોલાવીને બિનજરૂરી ખર્ચ થાય છે. પ્રિવેન્ડિંગના વેસ્ટર્ન કલ્ચરનો પણ આપણે ત્યાં વ્યાપ વધ્યો છે. એટલે પ્રિ-વેડિંગ શૂટ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. આ નિયમોનું પાલન સ્વૈચ્છિક રીતે થઈ રહ્યું છે છતાં જો કોઈ નિયમભંગ કરે તો મહંતપ્રતાપપુરી બાપુના અધ્યક્ષ સ્થાને લીધેલા નિર્ણય મુજબ 1 લાખ 51 હજાર રૂપિયાનો દંડ મંદિરની જગ્યામાં જમા કરાવવાનો રહેશે. આ બંધારણ અંગે ગુરુપૂર્ણિમાથી મૌખિક નક્કી કર્યું હતું. ત્યારથી બધું લગભગ હજુ સુધી દરેક પ્રસંગોમાં બંધારણનો 100 ટકા અમલ થયો છે. હજુ સુધી કોઇએ નિયમ તોડ્યો નથી. પીપણ ગામના માતમભાઇ ભરવાડે સમાજની વાસ્તવિકતા જણાવતા કહ્યું, અત્યારે અમારા સમાજમાં દેખાદેખી અને બિનજરૂરી ખર્ચાઓનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું. જ્યાં માત્ર 2 રૂપિયા ખર્ચવાની જરૂર હોય ત્યાં લોકો 50 રૂપિયા વાપરતા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમાજના આગેવાનો, વડીલો અને ગુરુની આજ્ઞાથી 36 ગામના પ્રતિનિધિઓએ ભેગા મળીને એક નવું સામાજિક 'બંધારણ' ઘડ્યું છે. આ બંધારણનો મુખ્ય ઉદ્દેશ્ય લગ્નપ્રસંગોમાં થતા ખોટા ખર્ચ અટકાવવાનો છે. મરણના પ્રસંગે 12 દિવસ સુધી મહેમાનોની અવરજવર ચાલુ રહેતી હતી અને આટલા દિવસ સુધી જમણવાર પણ ચાલુ રહેતો હતો. એટલું જ નહીં, ક્યારેક 200 લોકોનું ભોજન બનાવ્યું હોય અને માત્ર 50 લોકો જ આવે, ક્યારે ઓછું ભોજન રાંધ્યું હોય તો વધારે લોકો આવી જાય એવું પણ બનતું હતું. જેથી અનાજનો બગાડ થતો અને ક્યારેક ઢોરને ખવડાવી દેતા હતા. આ ઉપરાંત મહેમાન આવે એટલે પરિવારે આખો દિવસ ફાળવવો પડતો હતો. આમ, 12 દિવસ બેસી રહેવું પડતું હતું. એટલે હવે માત્ર બે જ દિવસનો સમય મર્યાદિત કરી દેવામાં આવ્યો છે. એમાં પણ જેને એક દિવસ કરવું હોય તો એ રાખી શકે. સમાજના ધર્મગુરુ અને આગેવાનોએ ઘડેલા નિયમો બાબતે મહિલાઓ શું માને છે એ જાણવાનો પણ અમે પ્રયાસ કર્યો. મંદિરે દર્શના કરવા આવેલાં સાણંદ તાલુકાના દદુકા ગામના ભાનુબેને જણાવ્યું, પહેલાં ઘણું બધું ખોટું થતું હતું. જેના કારણે મધ્યમ વર્ગના લોકોની હાલત ખરાબ થઈ જતી હતી. એટલે આ જે નિર્ણય લેવાયો છે તે સાચો અને સારો છે. બંધારણમાં કરાયેલાં સુધારા અંગે તેમણે કહ્યું, લગ્નપ્રસંગ ધામધૂમથી કરતા હતા. જમણવારમાં બગાડ બહુ થતો હતો. અન્ય લોકોને એવું થતું હતું કે અમારે ત્યાં પ્રસંગ આવશે તો શું થશે? એટલે આ નિર્ણય સારો છે. જેમ બને તેમ બધું ઓછું કરવું જોઇએ. અમારા સમયમાં તો આવા નિયમો ન હતા એટલે ઘણો ખર્ચ કરવો પડતો હતો. હવે આ નિયમો બધાએ પાળવા પડશે. સૌએ સહમતિ રાખવી પડશે. અમારા બાળકોને અમે સમજાવીશું અને અમલ કરાવીશું. મોતીપુરા ગામના રહીશ અને ચરેલ ગામે દર્શન કરવા આવેલાં મંજુબેને કહ્યું, લગ્ન પ્રસંગોમાં 10થી 15 લાખ રૂપિયા જેવો જંગી ખર્ચ થતો હતો. જેના કારણે અનેક પરિવારો દેવાદાર બની જતા હતા. અમીર અને ગરીબ વચ્ચેની આ ખાઈ પૂરવા અને સૌને સમાન સ્તર પર લાવવા માટે આ બંધારણ અમલમાં મૂકાયું છે. ગરીબ પરિવારોને આર્થિક ભારણમાંથી મુક્તિ અપાવવા માટે લેવાયેલો આ એક ક્રાંતિકારી નિર્ણય છે. થોડા દિવસ પહેલાં સુરત શહેરના રાંદેર ખાતે દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજના નવમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું હતું. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે મારા સૌ વડીલો, આજે જ્યારે આટલા સરસ સમૂહલગ્નનું આપણે આયોજન કર્યું છે, સમાજની આપણે જે વિચાર છે, જે વિચારધારા છે, જે આપણા રૂઢીચુસ્ત વિચારો છે, તેમાં ધીરે-ધીરે કરીને કોઈ નાના પરિવારને તકલીફો ના પડે તે રીતના વ્યવહારો અને તે રીતના નિયમો તરફ પણ તમે સૌ લોકો આગળ વધો એવી હું આપ સૌ લોકોને વિનંતી કરવા આવ્યો છું. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં અનેક સમાજે પોતાના ‘બંધારણ’ ઘડ્યા અથવા તેમાં ફેરફાર કરવાની પ્રવૃત્તિમાં નોંધનીય વધારો થયો છે. જે સૂચવે છે કે આધુનિક સમયમાં લોકોની બદલાતી જીવનશૈલી બાબતે આગેવાનો મંથન કરી રહ્યા છે અને તેના ગંભીર પરિણામોનો અંદાજો લગાવી ચૂક્યા છે. જો કે સિક્કાની બીજુ બાજું એ પણ છે કે કેટલાક લોકો આવા કડક નિયમોને વ્યક્તિની સ્વતંત્ર અને ખુશી મનાવવાના ઇરાદા પર કાપ મૂકવાના દૃષ્ટિકોણથી પણ જોઈ રહ્યા છે. જો કે ભરવાડ સમાજે બનાવેલા નવા નિયમોનું કડક પાલન થઈ રહી હોવાનું પણ આગેવાનોએ દાવો કર્યો છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 6:00 am

મહારાષ્ટ્રના નાયબ સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મૃત્યુ

- મહારાષ્ટ્ર સહિત દેશભરના રાજકારણમાં હડકંપ : 'દાદા' ચૂંટણી પ્રચાર માટે મુંબઈથી રવાના થયા અને બારામતી પહોંચતા જ કરૂણાંતિકા સર્જાઈં - પૂઅર વિઝિબિલિટીના કારણે રન વે નહિ દેખાયો હોવાની પાયલોટની ફરિયાદ બાદ પહેલું લેન્ડિંગ ફેઈલ ગયું, બીજા પ્રયાસ વખતે વિમાન તૂટી પડયું - અકસ્માતમાં પાયલોટ, કો-પાયલોટ સહિત અન્ય ચારનાં પણ મોત - ચાર્ટર્ડ વિમાન દિલ્હીની વીએસઆર વેન્ચર્સ કંપનીની માલિકીનું હતું મુંબઈ : મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશ માટે ભારે આંચકાજનક એક ઘટનામાં આજે સવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પુણે જિલ્લામાં તેમના વતન બારામતી ખાતે એક વિમાન દુુર્ઘટનમાં મોત નીપજ્યું હતું.

ગુજરાત સમાચાર 29 Jan 2026 5:30 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન; અવિમુક્તેશ્વરાનંદે કહ્યું- અપમાન કરનારાને પાઠ ભણાવીશું, ગાંધીનગરમાં બિલ્ડરના પુત્રની આત્મહત્યા

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર મહારાષ્ટ્રથી આવ્યા. ડેપ્યુટી સીએમ અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. બીજા સમાચાર અવિમુક્તેશ્વરાનંદના રહ્યા, જેમણે માઘ મેળાને છોડતી વખતે કહ્યું કે તેઓ તેમનું અપમાન કરનારાઓને પાઠ ભણાવશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સંસદમાં બજેટ સત્રનો બીજો દિવસ. આજે નાણામંત્રી ઈકોનોમિક સર્વે (આર્થિક સર્વેક્ષણ) રજૂ કરશે. 2. નવી દિલ્હીના વિજય ચોક પર બીટિંગ રિટ્રીટ સેરેમનીનું આયોજન કરવામાં આવશે. કાલના મોટા સમાચારો 1. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન, આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન થયું છે. બુધવારે સવારે 8.45 વાગ્યે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન તેમનું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હતું. તેઓ 66 વર્ષના હતા. અકસ્માતમાં પવારના સુરક્ષાકર્મી, બે પાઇલટ અને એક મહિલા ક્રૂ મેમ્બર સહિત 5 લોકોના જીવ ગયા છે. પવાર મહારાષ્ટ્ર પંચાયત ચૂંટણી માટે જનસભાને સંબોધવા બારામતી જઈ રહ્યા હતા. તેઓ મુંબઈથી સવારે 8.10 વાગ્યે રવાના થયા હતા. મહારાષ્ટ્ર એવિએશન ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, પાઇલટે સવારે 8.45 વાગ્યે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રનવે સ્પષ્ટ દેખાયો નહીં એટલે તે વિમાનને ફરીથી ઊંચાઈ પર લઈ ગયો. વાંચો સંપૂર્ણ સમાચાર 2. અવિમુક્તેશ્વરાનંદ માઘ મેળો છોડીને રવાના થયા:કહ્યું- સ્નાન કર્યા વિના દુઃખી મને પાછા ફરવું પડી રહ્યું છે, આવી કલ્પના પણ નહોતી કરી શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પ્રયાગરાજ માઘ મેળો છોડી દીધો છે. તેઓ કાશી જવા રવાના થયા છે. આ પહેલાં, તેમણે બુધવારે સવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- આજે મન એટલું વ્યથિત છે કે અમે સ્નાન કર્યા વિના જ વિદાય લઈ રહ્યા છીએ. પ્રયાગરાજ હંમેશાથી આસ્થા અને શાંતિની ભૂમિ રહી છે. શ્રદ્ધા સાથે અહીં આવ્યો હતો, પરંતુ એક એવી ઘટના બની ગઈ, જેની મેં ક્યારેય અપેક્ષા રાખી ન હતી. તેમણે કહ્યું- આ ઘટનાએ મારી આત્માને હચમચાવી દીધી. આનાથી ન્યાય અને માનવતા પ્રત્યે મારો વિશ્વાસ નબળો પડ્યો છે. મારે જે કહેવું હતું, તે કહી ચૂક્યો છું. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ચાંદીમાં આગ ઝરતી તેજી, બે જ દિવસમાં ₹44,000 મોંઘી થઈ:સોનામાં પણ ઉછાળો, ₹1.63 લાખની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો ચાંદી-સોનાના ભાવ સતત ત્રીજા દિવસે ઓલ ટાઈમ હાઈ પર છે. આજે 28 જાન્યુઆરીએ એક કિલો ચાંદીની કિંમત 17,257 રૂપિયા વધીને 3,61,821 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) એ આ માહિતી આપી છે. બે દિવસમાં ચાંદીની કિંમત 44,116 રૂપિયા મોંઘી થઈ છે. આ પહેલા શુક્રવારે તેની કિંમત ₹3,17,705 રૂપિયા પ્રતિ કિલો હતી. આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 28 દિવસમાં જ તે 1.31 લાખ રૂપિયા મોંઘી થઈ ચૂકી છે. જ્યારે, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 4,926 રૂપિયા વધીને 1,63,827 રૂપિયા પર પહોંચી ગયો છે. બે દિવસમાં સોનું 9,517 રૂપિયા મોંઘું થયું છે. આ પહેલા સોનાનો ભાવ 23 જાન્યુઆરીએ 1,54,310 રૂપિયા/10g હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સંસદમાં રાષ્ટ્રપતિનું અભિભાષણ, 45 મિનિટ સ્પીચ આપી:VB- જી રામજીના કાયદાનો ઉલ્લેખ થતાં જ વિપક્ષે હોબાળો મચાવ્યો, કાયદો પાછો ખેંચોના નારા લગાવ્યા 18મી લોકસભાના બજેટ સત્રનો પ્રથમ ભાગ બુધવારે લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે શરૂ થયો. રાષ્ટ્રપતિએ કહ્યું કે સરકાર દેશમાં આર્થિક પ્રગતિ અને સામાજિક ન્યાય માટે પ્રતિબદ્ધ છે. સરકાર ભ્રષ્ટાચાર અને કૌભાંડોનો સામનો કરવામાં સફળ રહી છે. રાષ્ટ્રપતિએ 45 મિનિટના ભાષણમાં VB- જી રામ જી કાયદાનો પણ ઉલ્લેખ કર્યો. આના પર વિપક્ષે હોબાળો કર્યો અને કાયદો પાછો ખેંચોના નારા લગાવ્યા. બીજી તરફ, NDA સાંસદોએ સમર્થનમાં નારા લગાવ્યા. પીએમ મોદી અને અમિત શાહ પણ ટેબલ થપથપાવતા જોવા મળ્યા. બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. MP-યુપી અને રાજસ્થાનમાં વરસાદ સાથે કરા પડ્યા:ઉત્તરાખંડમાં હિમવર્ષા, 8 જિલ્લામાં શાળાઓ બંધ; સોનમર્ગમાં હિમપ્રપાત, ઘણા રિસોર્ટ બરફમાં દટાયા દેશના ઉત્તર-પશ્ચિમ રાજ્યો, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. આના કારણે મંગળવારથી વરસાદનો દોર શરૂ થઈ ગયો છે. યુપી, રાજસ્થાન, મધ્ય પ્રદેશના ઘણા જિલ્લાઓમાં વરસાદની સાથે કરા પણ પડ્યા. રાજસ્થાનમાં વીજળી પડવાથી બે લોકોના મોત થયા. એમપીના ગ્વાલિયર-શિવપુરીમાં 8મા ધોરણ સુધીની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. યુપીમાં ભયંકર ઠંડી અને વરસાદના કારણે સંભલમાં 8મા ધોરણ સુધી અને સિદ્ધાર્થનગરમાં શાળાઓ આજે બંધ છે. રાજ્યના 29 જિલ્લાઓમાં આજે પણ કરા અને વરસાદનું એલર્ટ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. અમદાવાદ–મહેસાણા વચ્ચે રાજ્યનો પહેલો 8 લેન હાઈ-વે બનશે:8 ફ્લાય ઓવર અને 8 અંડર પાસ બનશે, 1 લાખ વાહન ચાલકોને ફાયદો, કેબિનેટની મંજૂરી રાજ્ય સરકારે અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતા મહત્વપૂર્ણ અમદાવાદ-મહેસાણા હાઇવેના 51 કિ.મી. લાંબા હાઈ-વેને 2,630 કરોડના ખર્ચે આઠ માર્ગીય (8-લેન)માં રૂપાંતરિત કરવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મહત્વના પ્રોજેક્ટને મંજૂરી મળી છે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાની જનતાને ઝડપી, સલામત અને આરામદાયક પરિવહનની સુવિધા મળશે તેમજ વર્ષોથી ચાલતી આ માંગ પણ પૂરી થશે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ગાંધીનગરના બિલ્ડરના પુત્રની આત્મહત્યા, 13 દિવસ પહેલાં લગ્ન થયા હતા:ઋષભ પટેલની લાશ કડીમાંથી મળી, સુસાઈડ નોટમાં 50 લાખની લેતીદેતીમાં શખસોએ માર માર્યોનો ઉલ્લેખ ગાંધીનગરના સુઘડ વિસ્તારમાં રહેતા અને જાણીતા બિલ્ડરના પુત્ર ઋષભ પટેલના ગુમ થવાના મામલે દુ:ખદ વળાંક આવ્યો છે. ગત 25 જાન્યુઆરીના રોજ રહસ્યમય રીતે ગુમ થયેલા 25 વર્ષીય યુવકની લાશ આજે કડી પોલીસ મથકની હદમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે પટેલ પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઋષભ પટેલના 12 જાન્યુઆરીના રોજ લગ્ન થયા હતા. ગત 25 જાન્યુઆરીએ પોતાની સાઈટ પર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જે બાદ તે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રાયપુર ગામની સીમમાં આવેલા બહુચર પાન પાર્લર પાસે ઋષભની ગાડી બિનવારસી મળી આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : દેશભરમાં UGCના નવા નિયમોનો વિરોધ:યુપીમાં સવર્ણ યુવકોએ મુંડન કરાવ્યું, બિહારમાં ફાંસીની માગ; સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે તૈયાર વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : અમેરિકી અધિકારીએ કહ્યું- EU સાથે ડીલથી ભારતને વધુ ફાયદો:યુરોપના બજાર સુધી પહોંચ મળશે, ટેલિગ્રાફે લખ્યું- PM મોદી ટ્રેડ ડીલના અસલી વિજેતા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : જયપુરઃ એર ઇન્ડિયાની ફ્લાઇટ રનવેને સ્પર્શીને ફરી ઊડી:10 મિનિટ પછી સફળ લેન્ડિંગ, પ્લેનમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી સુખજિંદર રંધાવા સવાર હતા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : જેલમાં બંધ ઈમરાન આંધળા થઈ જશે! CRVO નામની બીમારી, તાત્કાલિક સારવાની જરૂર; પાક. સરકારે કહ્યું- જેલમાં જ સારવાર કરીશું વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : 17 બ્રાન્ડની ગાડી સસ્તી થશે:મર્સિડીઝ-BMW-વોલ્વો સહિતની ઇમ્પોર્ટેડ કારની કિંમત ઘટશે, યુરોપિયન કાર પર ડ્યુટી 110%થી ઘટીને 10% થઈ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : અભિષેક શર્મા સતત 6 મહિનાથી T20 ટૉપ બેટર:કેપ્ટન સૂર્યાની એક મહિના પછી ટૉપ-10માં વાપસી, ઓલરાઉન્ડર્સમાં હાર્દિક ત્રીજા નંબરે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 1 ફેબ્રુઆરીએ મહા મહિનાનું મહાપર્વ:મકરસંક્રાંતિ જેવું જ સ્નાન-દાનનું મહત્ત્વ, સૂર્ય અને ચંદ્ર પૂજાનું વિધાન વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ મુંબઈનો અનોખો ફ્લાયઓવર મુંબઈમાં એક અનોખો ડબલ ડેકર ફ્લાયઓવર બન્યો છે. જેની શરૂઆત 4 લેનથી થાય છે, પરંતુ આગળ જતાં તે અચાનક 2 લેનનો બની જાય છે. 100 કરોડના ખર્ચે બનેલા આ ફ્લાયઓવરની એન્જિનિયરિંગ પર સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસે કહ્યું કે, ભાજપ સરકારમાં આવા જીવલેણ ચમત્કારો સામાન્ય વાત છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: અજિત પવારના નિધનથી ઉભા થયેલા 5 સવાલોના જવાબ; NCPના 41 ધારાસભ્યો કઈ તરફ જશે, શું પત્ની બનશે નવી Dy. CM? 2. ડિજિટલ ડાકુ-3 : ‘અમદાવાદી પ્રણયના ખાતામાં રાતોરાત 48 લાખ ક્યાંથી આવ્યા?’: એકાઉન્ટ ભાડે લઇને સાયબર ફ્રોડના પૈસા ઠાલવવાનો ખેલ, ચીની ગેંગ કિડનેપ કરીને નેપાળમાં ગોંધી રાખે 3. ભાસ્કર એક્સપ્લેનર : 'રનવેથી 100 ફૂટ ઉપરથી જ પડવા લાગ્યું હતું': અજિત પવારનું લિયરજેટ પ્લેન કેવી રીતે ક્રેશ થયું, પ્લેનમાં ખામી કે પાઇલટની ભૂલ 4. ભાસ્કર એક્સક્લૂસિવ : ગેંગ્સ ઓફ મ્યાવડ્ડી; 1 લાખ સેલેરી-બંગલાની ઓફર, મળી ગુલામી: 16 ભારતીયો ફસાયા, 18 કલાક કામ ન કરે, તો લોખંડના સળીયાથી ફટકારે છે 5. જ્યારે વોશરૂમમાં એક કોલથી પક્ષ બદલ્યો: અજિત પવારના કિસ્સાઓ, જેમણે 6 વખત ડેપ્યુટી CM તરીકે શપથ લીધા; આજે પ્લેન ક્રેશમાં નિધન 6. એક જ કેસમાં રેપિસ્ટને ડબલ ફાંસીની સજા: ખંભાતમાં બેસતા વર્ષના દિવસે 7 વર્ષની બાળકી પર કર્યું હતું દુષ્કર્મ, FSL રિપોર્ટે કેસની થિયરી ફેરવી દીધી કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ: મિથુન રાશિ માટે પ્રોપર્ટીમાં રોકાણનો શ્રેષ્ઠ સમય, મેષ-તુલા રાશિના લોકો પ્રગતિની સીડી ચડશે વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 5:00 am

આવેદનપત્ર:પાટણ કોંગ્રેસ દ્વારા વાંધાજનક નામ કમી કરવાના ફોર્મ ભરાતા મામલતદારને આવેદનપત્ર અપાયુ

મતદાર યાદી સુધારણા-2026ની કામગીરીને લઈને પાટણમાં રાજકારણ ગરમાયું છે.પાટણ શહેર કોંગ્રેસે દ્વારા મામલતદારને આવેદન આપી કૌભાંડ થયાનો આક્ષેપ કર્યો છે. ​પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાર યાદીમાંથી મોટાપાયે નામ કમી કરવાના ષડયંત્રનો આક્ષેપ કરી કોંગ્રેસ દ્વારા પાટણ શહેર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે જણાવ્યું હતું કે 16 જાન્યુઆરીથી અચાનક હજારોની સંખ્યામાં નામ કમી કરવા માટેના ફોર્મ નં. 7 જમા થવા લાગ્યા છે.રજીસ્ટ્રેશન ઓફ ઈલેક્ટર્સ રૂલ્સ 1960 મુજબ કોઈપણ નામ કમી કરતા પહેલા નોટિસ આપી સુનાવણી કરવી ફરજિયાત છે. છતાં પુરાવા વગર જથ્થાબંધ ફોર્મ સ્વીકારાઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટના લાલબાબ હુસેન કેસના ચુકાદાનો હવાલો આપીને કોંગ્રેસે આને લોકશાહીની હત્યા ગણાવી છે.તમામ વાંધા અરજીઓ સાર્વજનિક કરી દોષિતો સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

નિરક્ષરતા, સિંચાઈના અભાવ વચ્ચે બાળકોના ભવિષ્ય માટે લીધો નિર્ણય:રોજના 400 રૂપિયાની કમાણી કરતા ખેડૂતે શાળા માટે જમીન દાનમાં આપી

ઘણા ધનિકો પાસે કુબેરના ભંડાર હોવા છતાં જીવનભર વધુને વધુ ધન ભેગું કરવાનો મોહ છૂટતો જ નથી. ત્યારે અન્નદાતા એટલે દિવસ રાત કાળી મજૂરી કરી જગતને અન્ન પૂરું પાડતા ધરતીપુત્રએ પોતાની સામાન્ય આર્થિક સ્થિતિ વચ્ચે પોતાના કરતા બીજાના હિત માટે દિલેરી દર્શાવી છે. જેમાં મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વિકાસની દ્રષ્ટિએ અતી પછાત ગણાતા માળીયા મિયાણા મી.ના ત્રણ ચાર કિમિ દૂર આવેલા ભોળી વિસ્તારમાં રહેતા 55 વર્ષીય ખેડૂત સુભાનભાઈ બાવાભાઈ સંધવાણીએ તેમના જ વિસ્તારમાં પ્રાથમિક શાળા બનાવવા માટે ભૂમિદાન કર્યું છે. આ ખેડૂતે પ્રાથમિક શાળા બનાવવા માટે પોતાની માલિકીની એક વિઘા જમીન સરકારને દાનમાં આપતા તે બદલ પ્રજાસત્તાક પર્વ પર મામલતદારના હસ્તે તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ખેડૂત સુભાનભાઈ નિરક્ષર હોવાની સાથે બાપ દાદાના વખતથી આ વિસ્તારમાં આવેલી આઠ વિઘા જમીનમાં ખેતીકામ કરીને પરિવારનું જીવન નિર્વાહ કરે છે. તેમની કઠણાઈ એ છે કે, માળીયામાં કેનાલના પાણી પહોંચ્યા ન હોય સિંચાઈના અભાવે વરસાદ આધારિત ખેતી છે. તેમની જમીન ફળદ્રુપ અને વાવણીલાયક જ છે. પણ પાણી હોય તો વાવી શકે ને ! પોતાની ખેતી હોવા છતાં પાણી ન હોય પોતાના ઘરનું ગુજરાન ચલાવવા આજુબાજુના પાણીની સુવિધા ધરાવતા વાડી વિસ્તારોમાં ખેત મજૂરી કરવા જવું પડે છે અને આ આખો દિવસ ખેત મજૂરી કર્યા બાદ રોજની 300 કે 400 રૂપિયાની કમાણી થાય છે. આવી કાળી મજૂરી અને તેની સામે ઓછી આવક છતાં ખેડૂતે નિરક્ષર હોવા છતાં બીજા બાળકોનું ભલું કરવા શિક્ષણ માટે ભૂમિ દાન કરીને પોતાના દિલની મુઠી ઉંચેરી ઉદારતા દર્શાવી છે. નવી પેઢી શિક્ષણથી વંચિત‎ન રહે તે માટે ભૂમિદાન કર્યું‎સુભાનભાઈ સંધવાણી કહે છે કે, હું ભણી ન શક્યો એનો મને રંજ છે. કારણ કે, તેઓ ખેતીના 7/12 સહિતના દસ્તાવેજ માટે કચેરી જાય ત્યારે કઈ ખબર જ પડતી જ નથી. આ કાગળિયા કરવામાં એક કચેરીથી બીજી કચેરીએ એમ સતત ધક્કા થાય છે. તેથી અમારા વિસ્તારમાં રહેતા અન્ય મજૂરી કામ કરતા પરિવારના ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે સ્કૂલ બનાવવી જરૂરી હોય તેમજ હાલ જે જગ્યાએ સ્કૂલ હોય તે બાળકોના ઘરથી દૂર હોવાથી તેમની જમીન પર સ્કૂલ બને તો બાળકોને અવરજવરમાં સરળતા પડે તે માટે આ સ્કૂલના નિર્માણ માટે તેઓએ જમીન આપી છે. જો કે મારા સાત સંતાનોમાં છ દીકરા અને એક દીકરી હોય આ તમામને મેં મારી આર્થિક ક્ષમતા અનુસાર ભણાવ્યા છે. જેમાં આ સંતાનોમાં બે 12 સુધી તો એક કોલેજ સુધી એમ શિક્ષણ લીધું હોય હવે 4 દીકરાના લગ્ન કરી નાખ્યા છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

વેપારીઓ‎એ વિરોધ કર્યો:મોરબીમાં મહાપાલિકાની દબાણ હટાવ કામગીરી સામે વેપારીઓ‎ રોષે ભરાયા, તખ્તસિંહ રોડ પર ચક્કાજામ કરી સૂત્ર

મોરબી મનપાની ટીમ દ્વારા આજે દબાણ હટાવ કામગીરી દરમિયાન દુકાનમાં રાખેલો સામાન પણ ટ્રેક્ટરમાં ભરી ગઈ હોવાના આક્ષેપ સાથે આજે તખ્તસિંહ રોડ વિસ્તારના વેપારીઓએ તેમની દુકાનના શટર પાડી દઈ મનપા સામે સુત્રોચ્ચાર કર્યો હતો તેમજ આ વિસ્તારમાં રોડ બ્લોક કરી દેતા ભારે રોડ પર અંધાધૂંધી સર્જાઈ હતી. વેપારીઓએ મનપા અધિકારીઓ જ્યાં સુધી તેમનો સામાન પરત નહિ કરે ત્યાં સુધી રોડ પર બેસી રહેવાની જીદ પકડતા માહોલ ગરમાયો હતો. આ ઘટનાની જાણ થતા કોંગ્રેસ આગેવાનો પણ ધસી આવ્યા હતા. મનપાના અધિકારીઓ જાણે નબળો ધણી બૈરા પર સુરો તે કહેવતને સાચી ઠરાવતા હોય તેમ સામે ભાજપના મોટા નેતાઓના દબાણ સામે નત મસ્તક થઇ જાય છે. જયારે નાના વેપારીઓને દબડાવતા હોય છે અને હેરાન કરે છે તેમ કહી સુત્રોચ્ચાર કર્યો હતો. મોરબી શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાફિક જામની તેમજ પાર્કિંગ ની થતી અસુવિધા દુર કરવા મોરબી મહાનગરપાલિકાની ટીમ આજે વન વિક વન રોડ અભિયાન ચલાવવામાં આવે છે અને અલગ અલગ વિસ્તારમાં મનપા કમિશ્નરની આગેવાનીમાં મનપાની એસ્ટેટ શાખા દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે જે અંતર્ગત આજે મહાનગર પાલિકાની ટીમ મહાનગર પાલિકા કચેરી સામેના ગાંધી ચોકથી ડો તખ્તસિહ તરફ વળી હતી જ્યાં ડુંગળી બટાકાના વેપારી દ્વારા જાહેરમાં રાખવામાં આવેલા બાચકા અને અન્ય સામાન જપ્ત કર્યા હતા ગેરકાયદે હપ્તા આપનારને છૂટ, વેપારીઓને દંડ ?‎આજે અમારી દુકાનની અંદર રહેલો સામાન તેમજ શટર માં પણ લટકાવેલ સામાન પણ લઇ ગયા હતા આ અધિકારીઓને દુકાનની સામે આખો દિવસ રીક્ષા સ્ટેન્ડ ન ન હોવા છતાં રીક્ષા ઉભી રહે છે તે દેખાતું નથી,નેહરુ ગેટ ચોકની આસપાસ રેકડીઓ પડી રહે છે તે દેખાતું નથી શું તેઓ ગેરકાયદેસર હપ્તા આપે છે એટલે એમને રેવા દે છે ? જો એવું હોય તો અમે પણ દઈ બીજું શું મનપા અમને ખોટી રીતે હેરાન ન કરે અને અમારો સામાન પરત કરે તેવી માંગણી છે તેમ સ્થાનિક વેપારી પંકજભાઈ મકવાણાએ જણાવ્યું હતું. ચેમ્બર એસો.એ અધિકારીને મળી સમજણ આપવા અપીલ કરી‎શહેરમાં મનપાની ટીમ દ્વારા તખ્ત સિહ રોડ પર મનપાની ટીમે ખોટી રીતે સામાન જપ્ત કરતા તેઓએ ચક્કાજામ કર્યો હોવાની જાણ હતા આજે તેમના સાથે મળી મનપાના અધિકારી સાથે મળવા આવ્યા હતા મનપા અધિકારીઓ સાથે ચર્ચા કરી પહેલા યોગ્ય ગાઈડલાઈન તૈયાર કરી વેપારીઓને સમજાવટ કરવામાં આવે બાદમાં કાર્યવાહી કરવામાં આવે તેવી ચર્ચા થઇ છે અધિકારી પણ રાજી થયા છે જેથી ચક્કાજામ અટકાવી વેપારીઓ ફરી ધંધા શરુ કર્યા છે તેમ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતી જે પટેલે જણાવ્યું હતું. વેપારીઓને સમજાવ્યા‎ બાદ કાર્યવાહી કરી‎ટ્રાફિક સમસ્યા નિવારવા રોડ પર દબાણ દુર કરવાની કામગીરી કરવામાં આવી છે અમારી ટીમ દ્વારા નિયમિત રૂપે સમજાવવામાં આવ્યા હતા, વન વિક વન રોડ અંતર્ગત કામગીરી કરાઇ છે, તેમાં વેપારીઓને સામાન બહાર ન રાખવા વોર્નિંગ અપાઇ છે જે કિસ્સામાં વધારે સામાન હોય તે જપ્ત કર્યો છે કામગીરી નિયમ મુજબ થઇ છે વેપારીઓ સહયોગ આપે તે અપેક્ષા છે તે સ્વપ્નીલ ખરે એ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

માનવીય સંવેદના:કાતિલ ઠંડીમાં ફૂટપાથ પર રહેતા નિરાધાર લોકોને આશ્રયગૃહમાં ખસેડવામાં આવ્યા

હાલ એટલો બધો શીતપર્કોપ છે કે લોકો આખા શરીર ઢંકાય એ રીતે ગરમ વસ્ત્રો પહેરીને ચાર દિવારીમાં કેદ હોવા છતાં કાંતિલ ઠંડીથી ધ્રુજી ઉઠ્યા છે. ત્યારે મોરબી શહેરમાં ઘણા માર્ગો અને ફૂટપાથ પર રખડતું ભટકતું જીવન ગુજારતા નિરાધારોને ઠંડી બચવા માટે ગરમ વસ્ત્રો પણ હોતા નથી. તેથી કાંતિલ ઠંડીમાં આ ફૂટપાથ પરના લોકોની કેવી દર્દનાક હાલત થતી હશે ? એ વિચારીને પણ ધ્રુજી ઉઠાય છે. આથી મોરબી શહેરના ફૂટપાથ પર વસવાટ કરતા ઘરવિહોણા નિરાધાર લોકોને ઠંડીથી રક્ષણ આપવા મોરબી મહાપાલિકાની યુ.સી.ડી. શાખાએ સલામત રીતે તમામ રહેવા જમવાની સુવિધા સાથે આશ્રયગૃહમાં ખસેડયા હતા. મોરબી મનપાની યુ.સી.ડી. શાખા અને સિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થાના સ્ટાફ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ પર રહેતા લોકોની મુલાકાત લેવામાં આવી હતી. યોગ્ય કાઉન્સેલિંગ દ્વારા તેમને આશ્રયગૃહના લાભો વિશે સમજ આપી, કુલ 16 જેટલા ઘરવિહોણા લોકોને તેમના પરિવાર સાથે સુરક્ષિત રીતે આશ્રયગૃહ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મોરબી ખાતે કાર્યરત મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહમાં નિરાધાર લોકો માટે રહેવા, જમવા સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. આ આશ્રયગૃહનું સંચાલન મનપા દ્વારા નિયુક્ત સિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે. મનપા કમિશનર દ્વારા શહેરના તમામ જરૂરિયાતમંદ અને ઘરવિહોણા લોકોને આ આશ્રયગૃહનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

ઝારખંડના શ્રમિક દંપતીની પુત્રીને 5 કલાકની જહેમત બાદ સોંપાઇ‎:મોરબીના રંગપરમાં રસ્તો ભૂલેલી બાળકી 181 અભયમની મદદથી પરિવાર સુધી પહોંચી

મોરબીના રંગપર ગામના ક્રિકેટ મેદાન નજીક ઝારખંડની વતની એક શ્રમિક પરિવારની ત્રણ વર્ષની માસૂમ પુત્રી ભૂલી પડી જતા ગભરાયેલી હાલતમાં હોવાની કોઈ સજ્જન વ્યક્તિએ 181 અભયમને જાણ કરી હતી. આથી અભયમ ટીમે આ બનાવની ગહનતાપૂર્વક તપાસ કરતા ઝારખંડથી હમણાં જ મોરબીની એક કંપનીમાં મજૂરી કામે આવેલા દંપતિ એ કંપનીમાં નાઈટ ડ્યુટી પુરી કરીને સુતા હોય ત્યારે તેમની ત્રણ વર્ષની માસૂમ પુત્રી અન્ય બાળકો સાથે ભાગ એટલે નાસ્તો લેવા નીકળ્યા બાદ રસ્તો ભૂલી ગઈ હતી. આ બાબતની સંપૂર્ણપણે ખરાઈ કરીને એ બળકીને તેના માતાપિતાને સોંપી દીધી હતી. મોરબીના રંગપર ગામે ક્રિકેટ મેદાન પાસે ત્રણેક વર્ષની બાળકી એકલી બેઠી હોવાની કોઈ સજ્જન વ્યક્તિએ મોરબી 181 અભયમ ટીમને જાણ કરી હતી. આથી અભયમ ટીમના જાગૃતિ ભુવા, કોન્સ્ટેબલ દક્ષાબેન પરમાર તેમજ પાયલોટ અનિલભાઈ ઘટના સ્થળે પહોંચી બાળકીને સાંત્વના આપી તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતા. જો કે, બાળકી કઈ બોલતી ન હોવાથી તેણીને આજુબાજુ કારખાનામાં લઈ જઈ બાળકીના માતાપિતાની શોધખોળ શરૂ કરવાની સાથે સિરામિક એસોસિએશનના ગ્રુપમાં મેસેજ નાખી કારખાનેદારોને પણ જાણ કરી હતી. આ રીતે સતત પાંચ કલાક સુધીની જહેમતને અંતે આ બાળકીના માતાપિતાની જાણકારી મળતા તેમને શોધી કાઢી બાળકીને માતાપિતા સુધી પહોંચાડી હતી. ત્યારે બાળકીના પિતાએ જણાવ્યું હતું કે, તેઓ મૂળ ઝારખંડના હોય પણ છેલ્લા છ મહિનાથી મોરબી મજૂરી કામે આવ્યા છે અને ગઈકાલે નાઈટ ડ્યુટી કરી હોય પતિ પત્ની સુતા હતા ત્યારે તેમની આ પુત્રી અન્ય બાળકો સાથે ભાગ લેવા નીકળ્યા બાદ રસ્તો ભૂલી ગઈ હતી.પણ સદનસીબે કોઈ સજ્જન વ્યક્તિની સજ્જનતાથી 181 અભયમ સાથે ભેટો થતા એ બાળકીની જિંદગી રોળાતા બચી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

પ્રાકૃતિક ખેતી:ખેડબ્રહ્માના ખેડૂતે 20 વર્ષની રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી, વાર્ષિક નફો ₹રૂ.3.50 લાખથી વધીને ₹11.50 લાખ થયો

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા કંપા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે આધુનિક ખેતીમાં નવો માર્ગ પ્રશસ્ત કર્યો છે. છેલ્લા 27 વર્ષથી ખેતી સાથે જોડાયેલા પટેલ વિનોદભાઈ રવજીભાઈએ બે દાયકા સુધી રાસાયણિક ખેતી કર્યા બાદ જમીનની ઘટતી ફળદ્રુપતા અને વધતા ખર્ચથી પરેશાન થઈ પ્રાકૃતિક ખેતીનો અભિગમ અપનાવ્યો છે, જે આજે તેમના માટે લાખોની કમાણીનું સાધન બન્યું છે. વિનોદભાઈ વર્ષ 1995થી 2015 સુધી રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ ઉત્પાદનમાં સતત ઘટાડો થતા તેઓ ચિંતિત હતા. આ દરમિયાન વર્ષ 2003-04માં તેમણે ઇઝરાયેલનો પ્રવાસ કરી પાણી બચાવવાની ટેકનિક શીખી હતી. ત્યારબાદ અમદાવાદમાં પદ્મશ્રી સુભાષ પાલેકરજીની પ્રાકૃતિક ખેતીની શિબિરમાં ભાગ લીધા બાદ તેમણે સંપૂર્ણપણે રાસાયણિક મુક્ત ખેતી કરવાનો નિર્ણય લીધો. છેલ્લા 7 વર્ષથી તેઓ 'કશ્યપ પ્રાકૃતિક ફાર્મ' દ્વારા ઝેરમુક્ત ખેતી કરી રહ્યા છે. વિનોદભાઈ પાસે રહેલી 2 દેશી ગાયોના છાણ અને ગૌમૂત્રમાંથી તેઓ જાતે જ જીવામૃત અને ઘનજીવામૃત તૈયાર કરે છે. વિનોદભાઈ જણાવે છે કે, રાસાયણિક ખાતરોને લીધે જમીન કઠણ અને ક્ષારવાળી થઈ ગઈ હતી, પરંતુ પ્રાકૃતિક પદ્ધતિ અપનાવ્યા બાદ જમીન ફરી પોચી અને ફળદ્રુપ બની છે. ઓર્ગેનિક કાર્બન વધવાથી પાકની ગુણવત્તા અને સ્વાદમાં પણ મોટો સુધારો જોવા મળ્યો છે. વિનોદભાઈ પોતાની 5 એકર જમીનમાં ફળો (આંબા, જામફળ, સફરજન), શાકભાજી અને અનાજનું મિશ્ર વાવેતર કરે છે. તેમના કહેવા પ્રમાણે રાસાયણિક ખેતીમાં આવક ₹7,00,000 સામે નફો માત્ર ₹3,50,000 હતો. જ્યારે પ્રાકૃતિક ખેતી કરતાં અત્યારે વાર્ષિક આવક ₹17,00,000 છે અને તમામ ખર્ચ બાદ કરતા ₹11,50,000નો ચોખ્ખો નફો મળે છે. માત્ર નફો જ નહીં, પણ લોકો સુધી શુદ્ધ અને પૌષ્ટિક આહાર પહોંચાડવોએ વિનોદભાઈનું મુખ્ય લક્ષ્ય છે. તેમની સફળતા જોઈને આસપાસના અન્ય ખેડૂતો પણ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. વિનોદભાઈનું માનવું છે કે પ્રાકૃતિક ખેતી એ માત્ર પદ્ધતિ નથી, પણ પ્રકૃતિ તરફ પાછા વળવાનું એક પવિત્ર અભિયાન છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

મુલાકાત:CM આજે દ્વારકાના આંગણે ધર્મોત્સવના સાક્ષી બનશે

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનુ ગુરૂવારે તીર્થભૂમિ દ્વારકા ખાતે આગમન થશે.દ્વારકા નજીક આવેલ નંદી ગૌશાળા ખાતે ધારાસભ્ય પબુભા માણેક દ્વારા વિશ્વ કલ્યાણાર્થે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી વિશેષ ઉપસ્થિતિ નોંધાવશે. આ ધાર્મિક ઉત્સવ અંતર્ગત શ્રીમદ દેવી ભાગવત કથા, 32 કરોડ જાપ સાથે ચંડી મહાયજ્ઞ તેમજ 108 શિવલિંગનું મહા રૂદ્રાભિષેક જેવા વૈદિક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ ભવ્ય ધર્મોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમોના સાક્ષી બનશે તેમજ ધર્મલાભ પ્રાપ્ત કરશે. આ સાથે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી દ્વારકાધીશ જગતમંદિરમાં રાજાધિરાજ શ્રી દ્વારકાધીશને શિશ ઝુકાવી દર્શન-પૂજન પણ કરશે. મુખ્યમંત્રીના આ પ્રવાસને પગલે દ્વારકા નગર તથા આસપાસના વિસ્તારોમાં વહીવટી તૈયારીઓ તેજ બની ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય પબુભા માણેક દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો, ભક્તજનો તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ સર્જાયો છે. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

આકર્ષણનું કેન્દ્ર:શિયાળો જામતા દ્વારકાના ગોમતી નદી પર છવાયું સીગલ બર્ડનું સામ્રાજ્ય...

યાત્રાધામ દ્વારકામાં શિયાળાની ઠંડીની જમાવટ સાથે જ કુદરતી સૌંદર્યમાં અનોખો નિખાર જોવા મળી રહયો છે. ગોમતી નદી તથા દરિયાકાંઠા વિસ્તાર હાલમાં વિદેશી સીગલ બર્ડના મોટા ઝૂંડથી આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા લગભગ બે માસથી ગોમતી ઘાટ, સંગમ નારાયણ મંદિર, નવા ગોમતી ઘાટ તેમજ સમગ્ર દરિયાઈ પટ્ટામાં સેંકડો નહીં પરંતુ હજારોની સંખ્યામાં સીગલ બર્ડ નજરે પડી રહ્યા છે. આ સીગલ બર્ડ મુખ્યત્વે યુરોપ, સાઈબેરીયા, કઝાકિસ્તાન અને ચીન જેવા અતિશીત પ્રદેશોમાં વસવાટ કરતા પક્ષીઓ છે. શિયાળાની કડકડતી ઠંડી શરૂ થતાં જ આ પક્ષીઓ ગરમ હવામાનની શોધમાં હજારો કિલોમીટરનું અંતર કાપી ગુજરાતના દરિયા કાંઠે આવે છે. દ્વારકા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં દર વર્ષે શિયાળામાં આ વિદેશી પક્ષીઓની હાજરી નોંધપાત્ર રીતે વધતી જાય છે.હાલ શિયાળાની જોરદાર જમાવટ વચ્ચે સીગલ બર્ડની સંખ્યામાં વિશેષ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરી સંગમ નારાયણ મંદિરથી નવા ગોમતી ઘાટ સુધીના વિસ્તારમાં આ પક્ષીઓ આકાશમાં ઝૂંડે ઝૂંડ ઉડતાં જોવા મળે છે. સફેદ અને રાખોડી રંગના પંખો ફેલાવી આ પક્ષીઓ ગોમતી નદી પર ફરતા હોય તેવું દૃશ્ય યાત્રિકો અને પ્રવાસીઓમાં વિશેષ આનંદ જગાવે છે. યાત્રાધામ દ્વારકામાં દર્શનાર્થે આવતા યાત્રિકો માટે આ દૃશ્ય એક અનોખો અનુભવ બની રહ્યો છે. દરિયાકાંઠે ફરતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ સીગલ બર્ડ સાથે તસવીરો ખેંચી, સેલ્ફી લેતા સ્થાનિક લોકોનું માનવું છે કે શિયાળાની ઋતુમાં દરિયાકાંઠે માછલીઓની ઉપલબ્ધિ વધતી હોવાથી સીગલ બર્ડ અહીં લાંબા સમય સુધી રોકાય છે. ગોમતી નદીનો સંગમ વિસ્તાર, ખુલ્લો દરિયાકાંઠો અને શાંત વાતાવરણ આ પક્ષીઓ માટે અનુકૂળ હોવાથી તેઓ અહીં નિર્ભયતાપૂર્વક વસવાટ કરે છે. કુદરતી પર્યાવરણના દ્રષ્ટિકોણે પણ આ ઘટના મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વિદેશી પક્ષીઓનું આગમન એ પર્યાવરણ સ્વચ્છ અને અનુકૂળ હોવાનો સંકેત માનવામાં આવે છે. નજરે પડે છે. ઘણા યાત્રિકો પક્ષીઓ પ્રત્યે પ્રેમ દર્શાવતા કાજુ, બિસ્કિટ, ગાંઠીયા સહિતના ખાદ્ય પદાર્થો તેમને ખવડાવી આનંદ માણી રહ્યા છે. બાળકો માટે તો આ પક્ષીઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

આવેદનપત્ર:શહેરામાં મુસ્લિમ સમાજ દ્વારા પ્રાંતને આવેદન પત્ર આપવામાં આવ્યું

શહેરામાં ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરી મુસ્લિમ સમાજના કેટલાક મતદારોને મૃત અથવા કાયમી સ્થળાંતર બતાવી મતદારોની જાણ બહાર નામો કમી કરવાના આક્ષેપ સાથે શહેરા મુસ્લિમ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં ફોર્મ 7 બાબતે ચૂંટણી પંચની વેબ સાઇટ પર તપાસ કરતા અમારા નામો પણ ફોર્મ 7 અંતર્ગત કમી થયેલા જણાય છે. વાંધો રજુ કરનાર વ્યક્તિઓનો અમોએ સંપર્ક કરતા જાણવા મળ્યું કે તેઓ દ્વારા કોઈપણ પ્રકારના વાંધા ઓનલાઇન કે ઓફલાઈન રજૂ કરેલ નથી. જેથી કોના દ્વારા આ ફોર્મ નંબરનો દુરુપયોગ કરી જીવિત અને મૂળ રહેઠાણ પર રહેતા મતદાતાઓના નામ કમી કરવાનો ગંભીર ગુનો આચરેલ છે. તથા જે નામો કમી કરવા ફોર્મ ભરવાની કાર્યવાહી થઈ છે તે તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અને અમારા નામો આખરી મતદાર યાદીમાં પ્રસિદ્ધ થાય તે માટે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરેની માંગ કરી હતી. પ્રાંત અધિકારીએ પણ મુસ્લિમ સમાજના લોકોને નિશ્ચિત રહેવા જણાવ્યું હતું. ફોર્મ નં.7 બાબતે મરણનો દાખલો આપે અને પોતે રૂબરૂ આવી તો જ નામ નમી થઈ શકે પરંતુ જો કોઈ વ્યક્તિ એવા સ્પષ્ટ રીતે પુરાવા રજૂ ન કરે તો માત્ર ફોર્મના આધારે નામ કમી થઇ શકે નહીં તેમ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:આરસીસી રોડના કામમાં ડાયવર્ઝન ન અપાતા વન‎વે રોડ ઉપર વાહનો સામ-સામે આવતા ટ્રાફિક જામ‎

પાટણ-હારિજ હાઈવે પર સુદામા ચોકડી પાસે ડાયવર્ઝન કે ટ્રાફિક વ્યવસ્થા નિયંત્રણ વગર ચાલતાં RCC રોડની ધીમી કામગીરીને લઈ વાહનચાલકો માટે ટ્રાફિકની આફત સર્જાઈ છે. જેમાં ડાયવર્ઝનના અભાવે દિવસ-રાત લાગતી વાહનોની લાંબી કતારો હવે મેડિકલ ઈમરજન્સી માટે પણ જોખમી બની રહી છે.સાથે 10 મીટર નો રોડ ભારે વાહનો વચ્ચેથી પસાર કરવો ડ્રાઇવરો માટે પરીક્ષા સમાન બન્યો હોય અકસ્માતનું જોખમ ઊભું થયું છે. શહેરની સુદામા ચોકડી પર હાલમાં રોજિંદા ટ્રાફિક કકળાટના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. ચોકડી પાસે વરસાદી પાણીના નિકાલના અભાવે વારંવાર તૂટતા ડામર રોડના કાયમી ઉકેલ માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 1 જાન્યુઆરીથી RCC રોડનું કામ શરૂ કરાયું છે. જોકે, આ વિકાસની કામગીરી હવે વિમાસણનું કારણ બની છે. અહીં ચોકડી પાસે 100 મીટર અને હારીજ લિંક રોડ તરફ 500 મીટર લાંબો રોડ બની રહ્યો છે, પરંતુ આયોજનના અભાવે ટ્રાફિક વ્યવસ્થા સાવ વેરવિખેર થઈ ગઈ છે. લિંક રોડ પર એક તરફ કામ ચાલતું હોવાથી માત્ર પાંચ મીટરના સાંકડા પટ્ટા પરથી સામસામે ટ્રક અને ટર્બા જેવા ભારે વાહનો પસાર થાય ત્યારે કલાકો સુધી પૈડાં થંભી જાય છે.સ્થિતિ એટલી ગંભીર છે કે વાહનચાલકો જીવના જોખમે કોમ્પ્લેક્સના ઢાળ પરથી વાહનો હંકારી રહ્યા છે. સ્થાનિકોની સૌથી મોટી ચિંતા એમ્બ્યુલન્સને લઈને છે; જો કોઈ ગંભીર દર્દી ટ્રાફિકમાં ફસાય તો જીવનું જોખમ ઊભું થઈ શકે છે. બીજી તરફ, સતત ટ્રાફિકના દબાણને કારણે રોડ બનાવવાની કામગીરીની ગતિ પણ મંદ પડી છે. તંત્ર દ્વારા જો તાત્કાલિક અસરથી ભારે વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવે અને ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવે તો ચાલકોને ‘ચક્કાજામ’માંથી મુક્તિ મળી શકે તેમ છે. હજુ 15 ફેબ્રુઆરી સુધી કામગીરી ચાલુ રહેશે‎કોન્ટ્રાક્ટ કંપનીના સાઈડ ઇન્ચાર્જ એન્જિનિયર મુકેશ શર્માએ જણાવ્યું હતું કે આરસીસી રોડની કામગીરી 30 જાન્યુઆરી સુધી પૂર્ણ કરવાની હતી, પરંતુ ટ્રાફિકની સમસ્યાને કારણે કામ સમયસર પૂર્ણ થઈ શક્યું નથી. હવે આ કામગીરી 15 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. પાટણ–ચાણસ્મા હાઈવે પરનું કામ પૂર્ણ થતાં રસ્તો શરૂ કરી દેવાયો છે, જ્યારે પાટણ–હારીજ લિંક રોડ પર એક સાઈડ પર હજુ કામ ચાલી રહ્યું છે. સર્કિટ હાઉસ પાસેથી વાહન ચાલકો હારીજ લિંક રોડ પર જઈ શકે છે‎પાટણ શહેર તરફથી આવતાં વાહનચાલકો સર્કિટ હાઉસ પાસેથી જય અંબે સોસાયટી થઈ પાટણ–હારીજ લિંક રોડ પર જઈ શકે છે. તેમજ હારીજ તરફથી આવતાં વાહનચાલકો પણ આ માર્ગથી પાટણ–ચાણસ્મા હાઈવે પર પહોંચી શકે છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

વાતાવરણ:પોરબંદરમાં મહતમ 27 અને લઘુતમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું

પોરબંદરમાં મહતમ તાપમાન 1 ડિગ્રી વધીને 27 ડિગ્રી નોંધાયું છે જ્યારે લઘુતમ તાપમાન 11 ડિગ્રી યથાવત રહ્યું છે તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ 35 ટકા યથાવત રહ્યું છે ત્યારે શહેરમાં ઠંડીનું જોર વધ્યું છે. પોરબંદરમાં સાંજથી લઈને સવાર સુધી ઠંડીનું મોજું ફરી વળે છે. પોરબંદરમાં ગઈકાલે મંગળવારે મહતમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું અને લઘુતમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું જ્યારે બુધવારે મહતમ તાપમાન 1 ડિગ્રી વધીને 27 ડિગ્રી નોંધાયું હતું અને બુધવારે લઘુતમ તાપમાન 11 ડિગ્રી યથાવત રહ્યું હતું. ઉલ્લેખનીય છેકે, પોરબંદરમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ છેલ્લા 4 દિવસથી 35 ટકા યથાવત રહ્યું છે. ગત શનિવારે ઠંડીનો પારો 9 ડિગ્રી રહ્યો હતો અને ત્યાર બાદ સોમવારે લઘુતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું જ્યારબાદ લઘુતમ તાપમાન 11 ડિગ્રી યથાવત રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

રજૂઆત:વેરામાં ચડેલી વ્યાજની રકમ માફી યોજના જાહેર કરો

પોરબંદર વિસ્તારના રહેણાંક તેમજ વ્યવસાયિક મિલ્કતોના વેરાઓની કરોડો રૂપિયાની રકમ બાકી છે. આ હાઉસ ટેક્સ વેરાઓની રકમ પર અગાઉના બાકી લેણા પર 18 ટકા જેવી વ્યાજની રકમ લગાડવામાં આવી હોય, જેના કારણે આ રકમ ભરપાઈ કરવામાં શહેરીજનો ખુબજ મુશ્કેલીનો સામનો કરી રહયા છે. તા. 31મી માર્ચ 2026 સુધીમાં જે લોકો બાકી રહેતી વેરાની રકમ ભરપાઈ કરી આપે તો તેઓને વેરાની રકમ પર ચડત વ્યાજ 100 ટકા માફ કરી આપવા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી પૂર્વ કાઉન્સિલર ફારુકભાઇ સૂર્યાએ કમિશનરને રજૂઆત કરી છે.વધુમાં જણાવ્યું છે કે, આમ કરવાથી મનપાને પણ તા.31મી માર્ચ પહેલા ચડત વેરાની કરોડોની રકમ વસુલ કરવામાં આસાની થશે. પ્રજા હીતમાં અને મનપાના હીતમાં આ નિર્ણય લઈ વ્યાજ માફી ની જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરી છે. વળી, જે લોકો નિયમિત વેરા ભરપાઈ કરે છે તેઓને નવેમ્બર સુધીમાં વેરાની રકમ ભરપાઈ કરે તો જ 10 ટકા રીબેટનો લાભ મળે છે. ચાલુ વર્ષે વેરામાં વધારો થતા અને ત્યારબાદ ઘટાડાની પ્રક્રિયા થતા તે દરમ્યાન નિયમિત વેરા ભરપાઈ કરતા લોકો પણ સમય મર્યાદામાં વેરા ભરપાઈ કરી શક્યા નથી, જેથી આવા નિયમિત વેરા ભરપાઈ કરતા લોકોને માર્ચ 2026 સુધીમાં વેરો ભરે તો 10 ટકા રીબેટનો લાભ મળે તેવી જાહેરાત કરવા પણ રજૂઆત કરી છે. નિયમિત વેરા ભરપાઈ કરતા લોકો આ વર્ષે વેરાના વધારા પછી થયેલી અસમસંજતા ના કારણે 10 ટકા રીબેટ થી વંચીત રહયા હોય તેવા લોકોને પણ કાયમી નિયમિત વેરા ભરી આપવાની ધગસ જળવાઈ રહે જેથી લોકહિતમાં યોગ્ય નિર્ણય લઈ વહેલી તકે આ બાબતે યોગ્ય નિર્ણય કરી જાહેરાત કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. જૂનાગઢ મનપા દ્વારા વ્યાજ માફીની યોજના જાહેર થઈ હતી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં આવી વ્યાજ માફીની યોજના જાહેર કરવામાં આવી હતી જે ધ્યાને લઈ પોરબંદરમાં પણ આવી યોજના જાહેર કરવામાં આવે તેવો પ્રજાહિતમાં નિર્ણય લેવા ખાસ રજૂઆત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

ભાસ્કર ખાસ:પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે છેલ્લા 3 માસમાં 10.42 લાખ કિલો મગફળીની આવક વધુ નોંધાઇ

પોરબંદરના માર્કેટયાર્ડ વિવિધ વિભાગોમાં જણસીની આવક થતી હોય છે ત્યારે યાર્ડમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મગફળીની છેલ્લા ત્રણ માસમાં 10.42 લાખ કિલો આવક વધી છે.પોરબંદરના યાર્ડમાં ગત વર્ષે 14.16 લાખ કિલો અને આ વર્ષે 24.58 લાખ કિલો મગફળીની આવક નોંધાઈ છે.જોકે આવક વધી છે તો ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ખેડૂતોને મગફળીના ભાવ પણ વધુ મળી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં આ વર્ષે અંદાજે 80 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર નોંધાયું હતું ત્યારે આ વર્ષે મગફળીના પાકનું ઉત્પાદન પણ વધુ જોવા મળી રહ્યું છે જોકે દિવાળી સમયે મગફળીના તૈયાર પાક પર કમોસમી વરસાદ પડતાં મગફળીની ગુણવત્તા બગડી હતી તેમજ ખેડૂતોને મગફળીના પાકને પણ નુકશાન થયું હતું તેમછતાં પણ આ વર્ષે યાર્ડમાં મગફળીની આવક વધુ જોવા મળી રહી છે. પોરબંદરના યાર્ડમાં ઓક્ટોબર થી ડિસેમ્બર સુધીના ત્રણ માસમાં ચાલુ વર્ષે કુલ 24,583 ક્વિન્ટલ એટલે કે 24,58,300 કિલો મગફળીની આવક નોંધાઈ હતી તો ગત વર્ષેના ઓક્ટોબર થી ડિસેમ્બર સુધીના ત્રણ માસમાં 14,163 ક્વિન્ટલ એટલે કે 14,16,300 કિલો મગફળીની આવક થઈ હતી. પોરબંદરના યાર્ડમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 10,42,000 કિલો મગફળીની વધુ આવક નોંધાઈ હતી. ખેડૂતોને સારા ભાવ મળ્યા ગત વર્ષે મગફળીના પ્રતિમણે રૂ.900 થી 1200 ભાવ ખેડૂતોને મળી રહ્યા હતા ત્યારે આ વર્ષે યાર્ડમાં ખેડૂતોને પ્રતિમણે રૂ.960 થી 1340 ભાવ ખેડૂતોને મળ્યા હતા.ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ખેડૂતોને પ્રતિમણે રૂ.100 રૂપિયા ભાવ વધારો મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

સિટી એન્કર:ઈસ્કોન સર્કલ પાસેથી મ્યુનિ. લારી ઉઠાવી ગઈ, NIR દંપતીએ ફેરિયાને ડ્રાઈવિંગ શીખવાડી રોજગારી માટે નવી રિક્ષા ભેટમાં આપી

ઈસ્કોન સર્કલ પાસે ફળ-જ્યૂસની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા વિજયભાઈની લારી મ્યુનિ. ઉઠાવી ગઈ હતી. આ સમયે ત્યાં જયૂસ પી રહેલા એનઆરઆઈ દંપતીએ તેને આશ્વાસન આપી બીજા દિવસે નવી લારી અપાવી હતી. વિસનગર તાલુકાના પાલડી હસનપુર ગામનો વતની વિજય, પત્ની અને બે નાનાં બાળકો સાથે રામદેવનગરમાં રહે છે. ગત વર્ષે મ્યુનિ.એસ્ટેટ વિભાગની ટીમ રોડ પરથી દબાણ હટાવ્યા ત્યારે વિજયની લારી પણ જપ્ત કરી લીધી હતી. એ સમયે લંડનમાં સ્થાયી થયેલા એનઆરઆઈ શૈલેષ રાજા પોતાની પત્ની નીતાબેન સાથે એ જ લારી પર જ્યૂસ પી રહ્યા હતા. આ દૃશ્ય જોઈ તેમનું હૃદય દ્રવી ઉઠ્યું. શૈલેષભાઈએ વિજયના ખભે હાથ મૂકી આશ્વાસન આપ્યું હતું કે, ‘હિંમત રાખ, નવી લારી હું લાવી આપીશ.’ બીજા દિવસે રામદેવનગરના છાપરામાં રહેતા વિજયના ઘરે જઈ લારી આપી તેમણે પોતાનું વચન પાળ્યું પરંતુ વાત અહીં અટકી નહીં. પરિવારનું ગુજરાન પૂરું થતી નથી એ જાણીને શૈલેષભાઈએ ફરી લંડનથી આવીને પેસેન્જર રિક્ષા લઈ આપવાની ખાતરી આપી હતી. શૈલેષભાઈએ તેમના અંગત મિત્ર લોકગાયક વિક્રમ લાબડિયાને વિજયભાઈને મદદરૂપ થવાની વાત કરી હતી. વિક્રમ લાબડિયાએ વિજયભાઈની આર્થિક પરિસ્થિતિનો તાગ મેળવીને લંડનમાં શૈલેષભાઈને વાકેફ કરીને તેને ખરેખર મદદ કરવી જોઈએ તેવો સૂર વ્યકત કર્યો અને વિજયભાઈને ડ્રાઈવિંગ શીખવાડી લાઈસન્સ કઢાવી આપવા સુધીની મદદ કરી હતી. શૈલેષભાઈ પત્ની નીતાબેન સાથે ફરી વતનમાં આવ્યા અને વિજયભાઈને નવી પેસેન્જર રિક્ષા અપાવી હતી. રિક્ષા મળતાં વિજય અને તેની પત્નીની આંખોમાં આનંદના આંસુ અટકી ન શક્યા.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

દર્દીઓને હાલાકી:સોલા સિવિલમાં સગાંએ જ સ્ટ્રેચર પકડવું પડે છે, ચાદર પણ બદલે છે

સોલા સિવિલમાં મંગળવારે એક ગંભીર બીમારી સાથે આવેલા દર્દીએ દાખલ થવા ચોથા માળે તથા ત્યાર બાદ પેટમાંથી પાણી કઢાવવા માટે જાતે જવું પડ્યું. રાજકુમાર ઠાકર નામના દર્દીએ આક્ષેપ કર્યો હતો કે, એડમિશન પ્રોસેસ બાદ કોઈ વોર્ડબોય ન મળતાં તેમના સગાંએ તેમને સ્ટ્રેચર પર બેસાડી જાતે જવું પડ્યું. તેઓ જ્યારે વોર્ડમાં ગયા તો સ્ટાફ નર્સે તેમને ચાદર બદલવા કહ્યું અને દવા, ઇન્જેક્શનની સામગ્રી પકડવા માટે પણ સગાંને ઊભાં રાખ્યાં. જ્યારે તેમને પેટમાંથી પાણી કઢાવવા માટે જવું હતું તો પણ કોઈ આવ્યું નહિ. અંતે સગાં જ તેમને સ્ટ્રેચર પર લઈ ગયાં. સ્ટાફની ગેરવર્તણૂક અને સુવિધાના અભાવથી ત્રસ્ત થઈને દર્દી રાજકુમાર ઠાકરે અંતે સારવાર અધૂરી મૂકીને હોસ્પિટલમાંથી રવાનગી લીધી હતી. જતી વખતે તેમણે રોષે ભરાઈને કહ્યું કે, ‘હવે મને જે કંઈ પણ થશે તેની સંપૂર્ણ જવાબદારી સોલા સિવિલની રહેશે.’ હોસ્પિટલનાં ઇન્ચાર્જ નર્સના જણાવ્યા મુજબ, 30 દર્દીએ એક વોર્ડ બોય હોય છે. ઇમરજન્સીમાં 6નો સ્ટાફ, દરેક વોર્ડમાં 1 વોર્ડ બોય: RMOઆરએમઓ ડો. દેવાંગ શાહે કહ્યું કે, ઇમરજન્સીમાં 6 લોકોનો સ્ટાફ છે, જે દર્દીને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય છે અને દરેક વોર્ડમાં એક વોર્ડ બોય હોય છે. જે દર્દીને જરૂર પડે ત્યરે મદદ કરે છે .

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

કાર્યવાહી:વ્હેલ માછલીની ઉલ્ટી કેસ, વિસાવદરના શખ્સની અટક

રૂપિયા 1 કરોડથી વધુની કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ)ના કેસમાં વન વિભાગે વિસાવદરના શખ્સની અટક કરી પૂછપરછ હાથ ધરી હતી. ગઈ તા. 24 જાન્યુઆરીના રોજ એસઓજીએ વિજાપુરના પાટિયા પાસેથી પાલીતાણાના બહારપરા 72 વર્ષીય પંકજ નાથાલાલ કુબાવતને રૂપિયા 1,02,50,000ની કિંમતની 1.025 કિલોગ્રામ વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે પકડી લઇ કુલ 1,02,60,000નો મુદામાલ કબજે કર્યો હતો. વ્હેલ માછલીની ઉલટી વેચવા માટે ગ્રાહકની શોધમાં જૂનાગઢ આવેલા શખ્સનો દક્ષિણ ડુંગર રેંજના આરએફઓ એ. એ. ભાલીયાએ આરોપીને કોર્ટમાં કરી મંગળવાર સુધી 2 દિવસના રિમાન્ડ પર મેળવી પૂછપરછ કરતા વૃધ્ધને તળાજાનો શખ્સ વ્હેલ માછલીની ઉલટી સાથે લાવ્યો હોવાનું અને ઇસમ વિસાવદર ખાતે પણ લઈ ગયો હોવાનું જણાવ્યું હતું. જેના શખ્સને સાથે રાખી મંગળવારે વિસાવદરના કિરીટ નારણભાઈ સોલંકીની અટક કરી હતી અને વૃદ્ધના રિમાન્ડ પુરા થતા તેને જેલમાં મોકલી આપ્યો હતો. જ્યારે બુધવારે કિરીટ સોલંકીને કોર્ટમાં રજૂ કરતા તેને પણ અદાલતે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. કેસમાં તળાજા તથા જૂનાગઢનો શખ્સ ફરાર હોય બંનેને ઝડપી લેવા વન વિભાગે વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

મહાશિવરાત્રીના મેળા પૂર્વે વહીવટી તંત્ર એક્શન મોડમાં:સુદર્શન તળાવ પાસે દબાણ હટાવતા અડધી ગાડી ભરાય તેટલા તિક્ષ્ણ હથિયારો મળ્યા

જૂનાગઢમાં આગામી મહાશિવરાત્રીના મેળા પૂર્વે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. લાંબા સમયથી ભવનાથના સુદર્શન તળાવ પાસે શિવ ગિરિ ગુરુ જયદેવ ગિરી દ્વારા કરવામાં આવેલું ગેરકાયદેસર દબાણ એસ.ડી.એમ. અને પોલીસ કાફલાની હાજરીમાં તોડી પાડવામાં આવ્યું છે. આ જગ્યા પર છેલ્લા ઘણા સમયથી કબજો જમાવી રાખવામાં આવ્યો હતો, જેના કારણે મેળાની વ્યવસ્થા અને સ્થાનિક અવરજવરમાં અડચણ ઊભી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. મહાશિવરાત્રીનો મેળો લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. આ મેળામાં આવતા ભક્તોને કોઈ અગવડ ન પડે અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી કલેક્ટર અને એસ.ડી.એમ.ના માર્ગદર્શન હેઠળ આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. તંત્ર દ્વારા જ્યારે સ્થળ પર તપાસ કરવામાં આવી ત્યારે ત્યાંથી આશરે 60 જેટલા હથિયારો મળી આવ્યા છે. આ જથ્થામાં તલવાર, ભાલા, ધારિયા, છરા અને કોષ જેવા જોખમી શસ્ત્રોનો સમાવેશ થાય છે. આટલી મોટી સંખ્યામાં હથિયારો મળી આવતા સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે અને આ હથિયારો રાખવા પાછળનો હેતુ શું હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ ચલાવી લેવામાં આવશે નહીં. આ કાર્યવાહીથી અન્ય દબાણકર્તાઓમાં પણ ફફડાટ ફેલાયો છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જપ્ત કરાયેલા હથિયારો અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે 60 જેટલા હથિયારો જપ્ત કરીને 135 હેઠળ ગુનો નોંધ્યો આ તમામ કામગીરી જ્યારે થઈ રહી હતી ત્યારે 60 જેટલા તિક્ષણ હથિયારો મળી આવ્યા હતા. આ બાબતની જાણ વહીવટ તંત્રએ પોલીસને કરતા ભવનાથ પોલીસનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને જગ્યાને કોર્ડન કરીને હથિયારનો જથ્થો જપ્ત કર્યો હતો. ત્યારબાદ કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વહીવટી તંત્રના સૂત્રોએ જણાવ્યું કે ઘણા બધા પ્રવાસીઓ જે અહીં ફરવા આવતા હતા તેમને પણ માર મારવામાં આવ્યો હતો

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

અમૃત ભારત ટ્રેનની ટ્રાયલ:ઓછા ટિકિટ દરે વંદે ભારત જેવો અનુભવ, અમદાવાદ-વારાણસી વચ્ચે દોડી શકે, 1 હજાર કિમીએ રૂ.500 ભાડું

સામાન્ય નાગરિકો પણ વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેનમાં સસ્તી મુસાફરી કરી શકે તે માટે ભારતીય રેલવેએ અમૃત ભારત ટ્રેનો શરૂ કરી છે ત્યારે પશ્ચિમ રેલવેના સૌથી વ્યસ્ત અમદાવાદ-મુંબઈ રૂટ પર 130 કિમીની ઝડપે નવી ‘અમૃત ભારત’ ટ્રેનનું સત્તાવાર પરીક્ષણ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં અમદાવાદ રેલવે સ્ટેશન અમૃત ભારત ટ્રેનનું મુખ્ય કેન્દ્ર બની શકે છે. હાલની ટ્રાયલ અને રેલવેના આયોજન મુજબ આગામી દિવસોમાં અમૃત ભારત ટ્રેન અમદાવાદથી પટના, દરભંગા જેવા રૂટ પર દોડાવાઈ શકે છે. તેનું ભાડું 1 હજાર કિલોમીટરે રૂ.500 હોવાનો અંદાજ છે. સામાન્ય રીતે હાઈ સ્પીડ ટ્રેનો (જેમ કે વંદે ભારત)માં માત્ર એસી કોચ ઉપલબ્ધ હોય છે, પરંતુ અમૃત ભારત ટ્રેન ગરીબ અને મધ્યમ વર્ગ માટે તૈયાર કરવામાં આવી છે. તેમાં વંદે ભારત જેવી જ એરો ડાયનેમિક ડિઝાઇન ધરાવતાં એન્જિન છે. આ ટ્રેનના 22 કોચનું નિર્માણ આઈસીએફ ચેન્નઈ ખાતે કરવામાં આવ્યું છે. તેમાં ખાસ સસ્પેન્શન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે થયેલા ટ્રાયલ દરમિયાન આરડીએસઓના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ નવી હાઈ-સ્પીડ સેવા મુસાફરોને ઝડપી, સુરક્ષિત અને આર્થિક મુસાફરીનો અનુભવ કરાવશે. અમદાવાદ-વારાણસી વચ્ચે દોડનારી અમૃત ભારત ટ્રેન માત્ર ઝડપ જ નહીં, પરંતુ મુસાફરોની સુરક્ષા અને બજેટમાં પણ પરવડશે. અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડે તો 1થી 2 કલાક ઘટશે, દુરન્તો-તેજસ કરતાં ઝડપી પહોંચાડશેઅત્યારે અમદાવાદથી જતી દુરન્તો એક્સપ્રેસ 7 કલાક અને તેજસ એક્સપ્રેસ 6 કલાક 40 મિનિટમાં મુંબઈ (493 કિલોમીટર) પહોંચાડે છે. જ્યારે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી પુશ-પુલ અમૃત ભારત ટ્રેન અમદાવાદ-મુંબઈ રૂટ પર દોડાવાય તો 5 કલાક 48 મિનિટમાં મુંબઈ પહોંચાડી શકે. હાલ અમદાવાદ-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન 5 કલાક 35 મિનિટમાં મુસાફરી પૂર્ણ કરે છે. શતાબ્દી એક્સપ્રેસ 6 કલાક 35 મિનિટમાં અને કર્ણાવતી એક્સપ્રેસ 7 કલાક 20 મિનિટમાં અમદાવાદથી મુંબઈ પહોંચાડે છે. 130 કિમીની સ્પીડ, બંને છેડે એન્જિન, ટ્રેન પુશ-પુલ ટેક્નોલોજીથી સજ્જ હશે

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

દોડધામ:ખીજડીયા બાયપાસ પાસે વૃદ્વાશ્રમમાં આગ

જામનગરની ભાગોળે ખીજડીયા બાયપાસ પાસે એક વૃદ્વાશ્રમમાં આગ ભભૂકયાનો સંદેશો મળતા ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળ પર દોડી ગઇ હતી.જે દરમિયાન ટેબલ સહિત અમુક ફર્નિચર અને સફાઇનો સામાન બળીને ખાખ થયાનુ સામે આવ્યુ છે.ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને બૂજાવી હતી.બનાવના પગલે ક્ષણિક અફડા તફડી સાથે દોડધામ મચી જવા પામી હતી.સંભવત શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનુ અનુમાન દર્શાવાઇ રહયુ છે. જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાને બુધવારે સાંજે સાત વાગ્યાના સુમારે જામનગર-રાજકોટ ઘોરીમાર્ગ પર ખીજડીયા બાયપાસ પાસે વિશ્રામ હોટલ પાછળ અમન ચેરીટેબલ ટ્રસ્ટ વૃદ્વાશ્રમમાં આગ લાગ્યાનો સંદેશો મળ્યો હતો.જેને પગલે તુરંત જ ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળ પર દોડી ગઇ હતી.ફાયર શાખાની ટીમે પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે બુઝાવી દિઘી હતી.જોકે,આગના બનાવના પગલે ટેબલ સહિત અમુક ફર્નીચર ઉપરાંત સાવરણી વગેરે સાફ સફાઇનો અમુક સામાન સળગી ગયો હોવાનુ સામે આવ્યુ છે.સદનશીબે કોઇ ઇજા કે જાનહાની થઇ ન હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.સંભવત શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનુ તારણ પણ દર્શાવાઇ રહયુ છે.બનાવના પગલે ક્ષણિક દોડધામ મચી જવા પામી હતી.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

ફાયર સેફ્ટી અંગે તાલીમ:જામનગરમાં શાળા સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત તારીખ 27 થી 31 જાન્યુઆરી દરમિયાન શાળા સલામતી સપ્તાહ ઉજવાશે. આ કાર્યક્રમના અનુસંધાને જામનગર મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના પ્રોજેક્ટ ઓફિસર દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શાળા સલામતી સપ્તાહની શરૂઆત પ્રથમ દિવસે શાળા નં. ૬ સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના પ્રિન્સપાલ પ્રશાંતભાઈ માધવચાર્ય દ્વારા શાળા સલામતી વિષયક માર્ગદર્શન આપતું પ્રવચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગાંધીનગરથી શાળા સલામતી સપ્તાહનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત ફાયર વિભાગના સીએફઓ કે.કે. બિશ્નોઈના માર્ગદર્શન હેઠળ ફાયર ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેશન ઓફિસર રાકેશભાઈ ગોકાણી તથા જતીનભાઈ ત્રિવેદી દ્વારા બેઝિક ફાયર સેફ્ટી અંગે તાલીમ અને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રોજેક્ટ ઓફિસર પરેશભાઈ રાઠોડ દ્વારા વિવિધ આપત્તિઓ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળા સલામતી સપ્તાહ દરમિયાન ફાયર વિભાગ, રેડ ક્રોસ, આગાખાન એજન્સી, 108 એમ્બ્યુલન્સ સેવા, રોડ સેફ્ટી વિભાગ સહિતના વિવિધ વિભાગો દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાશે. સાથે સાથે વિવિધ આપત્તિ વિષયક પોસ્ટર પ્રદર્શન, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તેમજ વકૃત્વ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

વરણી:જામનગર શહેર સંગઠનમાં 24 લોકોની નિમણૂક અંતે કરાઈ

અંતે લાંબા સમય બાદ જામનગર શહેર સંગઠન અને વિવિધ મોરચાના હોદેદારોની નિમણૂકની જાહેરાત શહેર પ્રમુખ દ્વારા કરવામાં આવી છે. જેમાં તમામ જ્ઞાતિ અને વોર્ડનો સમાવેશ થાય તે રીતે હોદેદારોને સમાવવામાં આવ્યા છે. જામનગર શહેર પ્રમુખ તરીકે બીનાબેન કોઠારીની નિમણૂકને લાંબો સમય વીતી જવા છતાં સંગઠનની નિમણૂક એક યા બીજી રીતે કરવામાં આવતી ન હતી. જે લાંબી ચર્ચા-વિચારણા બાદ હવે કરવામાં આવી છે. જેમાં ઉપપ્રમુખ તરીકે વસ઼ંતભાઈ ગોરી, નિશાંતભાઈ અઘારા, દયાબેન પરમાર, વનીતાબેન કાલાવડીયા, હેમલભાઈ ચોટાઈ, વિજયભાઈ પરમાર, સંજયભાઈ મુંગરા, રીટાબેન જોટંગીયા, મહામંત્રી તરીકે વિજયસિંહ દોલતસિંહ જેઠવા, મૃગ્રેશ જગદીશચંદ્ર દવે, ભાવેશ વિઠ્ઠલભાઈ ઠુમ્મર ઉપરાંત આઠ મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. કોષાધ્યક્ષ તરીકે ચંદ્રવદન ત્રિવેદી અને કાર્યાલય મંત્રી તરીકે દિલીપભાઈ જોઈસરની નિમણૂક કરાઈ છે. સોશિયલ મીડિયા વિભાગમાં ધવલભાઈ નાખવા, આઈટી વિભાગમાં ગુંજ કારીયા અને મીડિયા વિભાગમાં ભાર્ગવ ઠાકરની નિમણૂક કરાઈ છે. યુવા મોરચા પ્રમુખ તરીકે સહદેવભાઈ ડાભી, મહિલા મોરચાના પ્રમુખ તરીકે દક્ષાબેન અગ્રાવત, કિસાન મોરચાના પ્રમુખ તરીકે હસમુખભાઈ પેઢડીયા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે વિરલભાઈ બારડ, અનુ. જાતિના મોરચાના પ્રમુખ તરીકે દીપક શ્રીમાળી અને લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે ઉમરભાઇ બ્લોચની નિમણૂક કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

ઉજવણી:જામનગર જિલ્લાના પીરોટન ટાપુ ઉપર પ્રથમ વખત પ્રજાસત્તાક દિને ધ્વજવંદન

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 15મી ઓગષ્ટ તથા 26મી જાન્યુઆરી દરમિયાન દેશના ટાપુઓ ઉપર ધ્વજવંદન કરવામાટે અપાયેલા સુચન અનુસાર તેમજ ગુજરાત રાજ્યના કોસ્ટલ સિક્યુરિટી, વિભાગ ના પોલીસ મહાનિરીક્ષક ની સુચના અન્વયે તેમજ જામનગર ના જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ તા.26મી જાન્યુઆરી-2026 ના રોજ સ્વતંત્ર ભારતના 77માં પ્રજાસતાક દિનની પીરોટન ટાપુ ખાતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકાર તથા ગુજરાત સરકારનું સુરક્ષા તથા વહીવટી તંત્ર ભારતના છેવાડાના વિસ્તારો તેમજ ટાપુઓની સુરક્ષા માટે કટીબધ્ધ હોવાનો સંદેશો પહોંચાડવાના ભાગરૂપે તથા ભારતના 77માં પ્રજાસતાક દિનની ઉજવણીના ભાગરૂપે જામનગર જીલ્લાના દરિયાઈ વિસ્તારમાં આવેલ પીરોટન ટાપુ ખાતે તા.26મી જાન્યુઆરી ના સવારે 08:45 વાગ્યે કોસ્ટલ સિક્યુરીટી, ગુ.રા. ગાંધીનગરના પોલીસ અધિક્ષક સુબોધ માનકર ના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. પીરોટન ટાપુ જેવા વ્યૂહાત્મક અને પર્યાવરણીય મહત્વ ધરાવતા વિસ્તારમાં સંયુક્ત રીતે પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવતાં સૌમાં દેશભક્તિનો ભાવ ઉજાગર થયો હતો.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

હવામાન:હાલારમાં બર્ફીલા પવનનું જોર વધ્યું, વાતાવરણ ઠંડુગાર બન્યું

જામનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ક્યારેક ઠંડીમાં વધારો તો ક્યારેક રાહત, તો બીજી તરફ સૂસવાટાફ મારતા ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ વધતો જાય છે. જોકે બુધવારે શહેર તથા આસપાસના વિસ્તારોમાં ઠંડીમાં થોડી રાહત અનુભવાઈ હતી છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 25.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે લઘુમત તાપમાન દોઢ ડિગ્રીના વધારા સાથે 12 ડિગ્રી આસપાસ રહ્યું હતું. ભેજનું પ્રમાણ મહત્તમ 67ટકા નોંધાયું છે, જેના કારણે હવામાનમાં ભેજભર્યો અહેસાસ પણ જોવા મળી રહ્યો છે.સવારના સમયે અને રાત્રિના કલાકોમાં લોકો ગરમ કપડાંમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. પરંતુ બુધવારે પારો દોઢ ડિગ્રી જેટલો ઊંચકાતા ઠંડીમાં થોડી રાહત જોવા મળી છે.હવામાનમાં આવેલા આ બદલાવને પગલે લોકો સવાર અને સાંજના સમયે હળવી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે, જ્યારે બપોરના સમયે તાપમાન સહેજ સુખદ બનતાં બહાર નીકળવા માટે અનુકૂળ માહોલ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

ભાસ્કર બ્રેકિંગ:હવે,તળાવ ફરતે ચાલવાનો પણ ચાર્જ ચૂકવવો પડશે!

પાલિકાનું 2026-27નું ડ્રાફ્ટ બજેટ 31 જાન્યુઆરીએ સ્થાયીમાં રજૂ થશે. ગત વર્ષે મ્યુનિ. કમિશનરે રૂ. 6200 કરોડનું બજેટ મૂક્યું હતું. આ વર્ષે 900 કરોડનો વધારો કરી ~7100 કરોડનું બેજટ મુકાઇ શકે. જેમાં આવક વધારવા તળાવો ફરતે ચાલવાનો ચાર્જ વસૂલવા તૈયારી છે. પાલિકાના સૂત્રો મુજબ 29 જાન્યુઆરીએ બજેટ સ્થાયી સમિતિમાં મુકાવાની સંભાવના હતી. પણ હવે 31મીએ મ્યુનિ. કમિશનર સ્થાયીમાં રજૂ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. આ બજેટમાં આવક વધારવા માટે પાલિકા બાકી વેરાની કડક વસૂલાત સાથે કેબિન અને દુકાનો, પથારાના વર્ષોથી બાકી ભાડા વસૂલવા પર ભાર મૂક્યો છે. 20 જેટલી એલઈડી સ્કીન લગાવી વધુ જાહેરાત મેળવવા કામગીરી કરાશે. શહેરમાં ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવા માટે પાલિકાના 100 પ્લોટને ભાડેથી આપી તેમજ પે એન્ડ પાર્કિંગ માટે કોન્ટ્રાક્ટ આપી આવક મેળવવાની કામગીરી કરાશે. સુત્રો મુજબ લોકો પાસેથી તળાવ ફરતે ચાલવાના રોજના રૂ.5થી 10 વસૂલવા અને પાસની વ્યવસ્થાની તૈયારી છે. જો કે ચૂંટણીને પગલે લાગત રદ પણ થઇ શકે છે. પાણી / 15 ટાંકીમાં ક્લોરિનેશન સિસ્ટમ કચરો / 1500 મેટ્રિક ટનનો કચરો પ્રોસેસ કરવા પ્લાન્ટ વરસાદી પાણી નિકાલ / તળાવો વધુ ઉંડા કરવાનો પાલિકાનો પ્લાન ટ્રાન્સપોર્ટેશન / શહેર-ગામો સુધી ઇ-બસો દોડાવાશે આઇટી / શહેરના 200 સ્થળે 650 સીસીટીવી લગાવાશે બિલ્ડિંગ પ્રોજેક્ટ / 2 સ્વિમિંગ પૂલ, 4 ઝોનમાં યોગ સેન્ટર બનશે હેરિટેજ કન્ઝર્વેશન / માંડવી સહિત 4 દરવાજાનું રિસ્ટોરેશન કરાશે વિશ્વામિત્રીના કિનારે વૉક-વે, ગાર્ડન બનશેવિશ્વામિત્રી નદીને ઉંડી કર્યા બાદ હવે કેટલાંક કિનારાઓ ઉપર વૉક-વે અને ગાર્ડન બનાવાશે. સાથે મગરો બાસ્કિંગ કરી શકે તે માટેનું આયોજન હાથ પર લેવાશે. જ્યારે વિશ્વામિત્રી નદીના પટમાં વિવિધ સ્થળોએ ઠાલવવામાં આવેલા કાટમાળને કાઢી તેને અટલાદરા પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે મોકલવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

કાર્યવાહી:રાજપીપળા શહેરમાં 16 કિલોથી વધારે ખાદ્ય વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો

નર્મદા જિલ્લાની જાહેર આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ડેઝીગ્નેટેડ ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી ગતરોજ રાજપીપળા શહેર ખાતે સઘન ચકાસણી કાર્યવાહી હાથ ધરી હતી. વિવિધ દુકાનો તપાસ દરમિયાન અખાદ્ય વસ્તુઓ મળી આવતાં તેનો નાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી અંતર્ગત રાજપીપળા શહેરમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ખાણીપીણીની લારી-ગલ્લા સહિત કુલ 53 જેટલા વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ખાદ્યચીજોની સલામતી, સ્વચ્છતા તથા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ મુજબ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ નિયમોના કડક અમલીકરણ માટે વેપારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.તપાસ દરમિયાન સ્થળ પરથી બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજો મળી આવતા, આશરે 10 કિલો લાલ ચટણી, સિન્થેટિક ફૂડ કલર તેમજ ચાઈનીઝ-પુલાવ રાઈસ સહિત અંદાજે 16 થી 17 કિલોગ્રામ જેટલો ખયુાદ્યચીજનો જથ્થો યોગ્ય સ્થળે નાશ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

સંગઠનનું નવું માળખું જાહેર કરાયું:વલસાડ જિલ્લા ભાજપ સંગઠન હોદ્દેદારો જાહેર, જુના, નવાનું સંગમ

વલસાડ જિલ્લા ભાજપ નવા સંગઠનમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રી સાથે સંગઠનનું નવું માળખું જાહેર કરાયું છે. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઇ કંસારાએ જાહેર કરેલી સંગનઠન હોદ્દેદારોની યાદી મુજબ જિલ્લા ભાજપના 3 મહામંત્રી અગાઉ હતા,જે પૈકી કમલેશ પટેલને રીપીટ કરાયા છે.બીજામાં નિખિલ ચોકસી અને ગણેશ બિરારીને ઉપપ્રમુખ બનાવાયા છે. 8 ઉપપ્રમુખમાં કિશોર પટેલ માજી તા.પ્રમુખ, સુરેશ પટેલ,વાપી, સતિષ પટેલ, વાપી, જીગીત્સાબે ન પટેલ રીપીટ, મુકેશ તિવારી વાપી,નરેશ ‌વળવી ઉમરગામ,રમતુ ચૌધરી કપરાડા બન્યા છે.9 મંત્રીઓમાં વલસાડ તા.પં.ના સભ્ય ગીરીશ ટંડેલને મંત્રી તરીકે નિમણૂંક અપાઇ છે.આ ઉપરાંત કોષાધ્યક્ષ,કાર્યાલય મંત્રી, મીડિયા ઇન્ચાર્જ નિમણૂંકોમાં સોશ્યલ મીડિયા વિભાગમાં ચેતન પટેલ,આઇટી વિભાગમાં અક્ષય રાવલ અને મીડિયા વિભાગમાં ફરીથી ઉત્કૃષ્ટ કામગીરી બજાવનાર દિવ્યેશ કૈલાસનાથ પાંડેને જવાબદારી સોંપાઇ છે. યુવા મોરચા પ્રમુખ પ્રભાકર યાદવ ધરમપુર,મહામંત્રી મયંક પટેલ,કેવિન પટેલ,મહિલા મોરચામાં પ્રમુખ પ્રવિણા સમીર પટેલ, ડુંગરી, મહામંત્રી મનિષા પ્રિતમદાણી, ઉમરગામ,સુ નિતા તિવારી વાપી, કિસાન મોરચામાં પ્રમુખ રુપેશ પટેલ, વલસાડ, જયપ્રકાશ ભંડારી, ઉમરગામ, મુકુંદ પટેલ, પારડી, બક્ષીપંચ ઓબીસી મોરચામાં પ્રમુખ નિલેશ ભંડારી,ઉમરગામ, મહામંત્રી આનંદ પટેલ,ડુંગરી વલસાડ, મહામંત્રી તરીકે ગ્રેવિન ટંડેલ પારડી તાલુકાને નિમણૂંક અપાઇ છે. એસસી મોરચો પ્રમુખ તરીકે હેમંત પટેલ,વલસાડ,યોગેશ ભાલે ધરમપુર,સુમિત માહ્યાવંશી વાપી, એસટી મોરચો પ્રમુખ ધનેશ ચૌધરી, મહામંત્રી નિલેશ પટેલ, વલસાડ, રાજેશ વારલી, ઉમરગામ, લઘુમતિ મોરચો પ્રમુખ બુરઝિન ગોલીવાલા બાવાજી, વલસાડ, મહામંત્ રી મહમંદ ઇશા બાબલુભાઇ વાપી અને આમીર અબ્દુલ લતીફ શેખ, વલસાડ

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

કેસમાં ઉછાળો:4 માસમાં સિઝનલ શરદી અને ઉધરસના 3907 કેસ

વલસાડ જિલ્લામાં ચોમાસા બાદ વાતાવરણમાં અનેક ચઢાવઉતાર વચ્ચે શરદીતાવ,સિઝનલ ફ્લુ.ઉધરસ જેવા સામાન્ય ગણાતાં છતાં દર્દીને પરેશાન કરતાં કેસો નોંધાતાં જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.છેલ્લા ઓક્ટોબર 2025થી જાન્યુઆરી 2026 સુધીમાં કુલ 3907 કેસ નોંધાઇ ચૂક્યા છે. ચોમાસું લંબાયા બાદ શિયાળો મોડો શરૂ થયો અને ઠંડીના વાતાવરણ વચ્ચે સતત ફેરફારોને લઇ સિઝનલ ફ્લુના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.આ કેસોને માસિક ધોરણે મૂલ્યાંકન કરવામાં આવે તો માસિક ધોરણે આંકડાની ગણતરીમાં ઓક્ટોબર માસમાં 1126 કેસ નોંધાયા હતા,જે નવેમ્બરમાં વધીને1187 કેસ પર આંકડો પહોંચી ગયો હતો. ડિસેમ્બર માસ દરમિયાન વલસાડ જિલ્લામાં તમામ તાલુકાના ગ્રામ્ય અને જિલ્લાના શહેરી વિસ્તારોમાં સૌથી વધુ 1349 કેસ સામે આવ્યા હતા.જ્યારે ચાલૂ માસ જાન્યુઆરી 2026 દરમિયાન કેસોની સંખ્યામાં થોડો ઘટાડો થયેલો જોવા મળ્યો છે,પરંતું હજી જાન્યુઆરીના બે ત્રણ દિવસ બાકી છે ત્યારે કેટલો વધારોથશે તે જોવું રહ્યું.આ પરિસ્થિતિમાં વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગે અવેરનેસ અભિયાન શરૂ કરી દીધું છે.નાનાપોંઢા વિસ્તારમાંથી પણ 56 કેસ મળી આવ્યા છે. તાલુકાવાર કેસની સંખ્યા‎ ફ્લુ, શરદી, ઉધરસથી બચવા આટલું કરોવલસાડ જિલ્લા આરોગ્ય વિભાગે હાથ ધરેલા અભિયાનમાં અવેરનેસ કેળવવા ભાર મૂક્યો છે.દરેક નાગરિકોએ ભીડભાડ વાળી જગ્યાએ માસ્ક પહેરવું,સ્વચ્છતાનું ધ્યાન રાખવું,ગરમ પાણી પીવું જોઇએ.શરદી ખાંસી કે તાવ જેવા લક્ષ્ણો જો જણાય તો તાત્કાલિક પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં તપાસ કરાવી લેવું જરૂરી છે.ડોકટરો ખાસ કરીને એવું જણાવી રહ્યા છે કે બાળકો,વૃધ્ધો અ્ને લાંબાસમયથી રોગ પિડીત નાગરિકોએ આ સંજોગો વચ્ચે તબિયતની ખાસ કાળજી લેવી તેવી સલાહ આપી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

પાલિકાએ માર્ગ મરામત ન કરતા આક્રોશ વધ્યો‎:વલસાડમાં ચોમાસામાં ઉખડેલા માર્ગો માટે સરકારે 7 કરોડ ફાળવ્યા છતાં કામો બાકી

વલસાડમાં પાલિકા દ્વારા 7 કરોડના ખર્ચે નવા રસ્તાના કામો ચાલી રહ્યા છે પરંતું હજી મેઇન વિસ્તારના મુખ્ય રસ્તાઓના કામો માટે શહેરીજનો કાગડોળ રાહ જોઇ રહ્યા છે.પાલિકા દ્વારા નીચાણના કેટલાક રસ્તાઓનું રિસર્ફેસિંગ અને મરામત કામો થયા છે અને કેટલાકના કામ હાથ ધરાયા નથી. જેમાં વોર્ડ નં.1માં શહીદચોક વિસ્તાર સહિત 5 રસ્તાના ઠરાવ પણ મંજૂર કરવામાં આવ્યા હતા. છતાં તે પૈકીના 4 સ્થળોએ હજી કામ શરૂ થયા નથી તેવી ફરિયાદ સ્થાનિક અરજદાર દ્વારા પાલિકા ચીફ ઓફિસરને કરાઇ છે. આ રસ્તાની સમસ્યાના જેના કારણે સ્થાનિકોની ધીરજ ખુટી રહી છે. રસ્તા મરામત રિસર્ફેસિંંગની કામગીરીની માગ સાથે રહીશો રાહ જોઇ રહયા છે. વોર્ડ નં.1માંં અંતરિયાળ સુધીના રસ્તાઓ વસતીમાંથી પસાર થાય છે. રસ્તાના બંન્ને બાજૂની લાઇનોમાં કતારબંધ મકાનોમાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરી રહ્યાં છે.રાજ્ય સરકારે ચોમાસામાં નુકસાન પામેલા રસ્તાઓનું રિપેરિંગ અને રિસર્ફેસિંગ માટે 7કરોડની ગ્રાન્ટ મંજૂર કરી હતી. પાલિકાએ શહેરના અન્ય વિસ્તારોમાં કામ શરૂ કર્યા પણ નદીના પટના નીચાણ વિસ્તારના બાકી રહેતાં વોર્ડ રસ્તાની મરામત અને રિસર્ફેસિંગ ક્યારે થશે તે મુદ્દો ઉઠ્યો છે. મુખ્ય વિસ્તારમાં જ માર્ગો અધૂરાંપાલિકા હદ વિસ્તારોમાં તંત્ર દ્વારા રોડની મરામત અને રિસર્ફેસિંગના કામો માટે જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં મેઇન લત્તાના રસ્તાનું રિસર્ફેસિંગ કરવામાં આવ્યું ન હોવાની ફરિયાદ કરાઇ છે.ઘણાં વિસ્તારોમાં કામ બાકી રહ્યા છે અને મેઇન લત્તાના રસ્તાઓ પર પેચિંગ કરવામાં આવ્યું છે.આવા રસ્તા પર રિસર્ફેસિંગ કરવા બે ત્રણ મહિના ખેંચી કાઢવામાં આવે તેવું લાગી રહ્યું છે.> વિજય પટેલ, વાહનચાલક નગર પાલિકા દ્વારા નક્કી કરાયેલા રસ્તાની કામગીરી ચાલુ કરાઇ છેશહેરમાં લોકોની સમસ્યાના ઉકેલ માટે ચોમાસામાં નુકસાન પામેલા મંજૂર કરાયેલારસ્તાઓની મરામત અને રિસર્ફેસિંગના કામો ચાલૂ કરવામાં આવ્યા છે.બાકીના જે પણ રસ્તાના કામો મંજૂરી મળેલી છે તે કામો કરવાનું પાલિકાનું આયોજન છે.તબક્કાવાર તમામ કામો કરવામાં આવશે.> આષિશ દેસાઇ,કારોબારી ચેરમેન

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am

ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:વિદ્યાર્થીના રૂા.3 હજાર પડાવનાર ત્રિપુટી પૈકી ત્રીજો એસીપીનો ગનમેન હોવાનો ઘટસ્ફોટ, ફરિયાદીએ તસવીર જોઈ ઓળખ્યો

મ.સ.યુનિ.ના વિદ્યાર્થીની બુલેટ રોકી ટ્રાફિક પોલીસે રૂ.3 હજાર પડાવી લેવાના કેસની કવાયત વચ્ચે પોલીસની ત્રીપુટી પૈકી એક એસીપીનો ગન મેન હોવાનો ઘટસ્ફોટ થયો છે. વિદ્યાર્થી દ્વારા ગન મેનની તસવીર જોઇ ઓળખ કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીએ ઈન્કવાયરી શરૂ કરી છે. પીએસઆઇ તરીકે આવનાર ગનમેન ભીખાજી રતુજી કોન્સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું હતું. અટલાદરા રહેતા જગદીશ તિવારી પાસે ટ્રાફિક પોલીસે રૂ.3 હજાર પડાવી લીધા હતા. જગદીશે કહ્યું હતું કે, ભીખાજી મારી સામે પીએસઆઈના યુનિફોર્મમાં આવ્યા હતા. તેમણે મને અપશબ્દો બોલ્યા હતા અને બાઇકની ચાવી કાઢી લીધી હતી. મેં અપશબ્દો બોલવાનો ઈન્કાર કરતા તે મને શું કરી લઈશ કહી ધમકાવ્યો હતો. પોલીસ કમિશનરે કોન્સ્ટેબલ કિરણ જોગદીયાની બદલી હેડ ક્વાટર કરી હતી, ટીઆરબી યશપાલસિંહ સિંધાને ફરજ મુક્ત કરી દેવાયો હતો. જોકે ગનમેન ભીખાજી સામે કાર્યવાહી કરાઈ ન હતી. ડીસીપી ટ્રાફિક રૂષિકેશ ઉપાધ્યાયનો સંપર્ક કરતા તે થઈ શક્યો નહોતો. ગનમેન ભીખાજીએ કશું પણ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો. અગાઉ યુવકને માર મારવાના કેસમાં કિરણ જોગદીયા સંડોવાયો હતો. કોન્સ્ટેબલ કિરણ અન્ય લોકોને સાથે રાખીને મને મળવા માટે બોલાવી રહ્યો છેકોન્સ્ટેબલ કિરણ અન્ય લોકોને સાથે રાખી મને મળવા બોલાવતો હતો. તે બીજા લોકોને સાથે રાખી મળવાનું કહે છે. જોકે મેં તેને મળવાનો ઈન્કાર કરી દીધો હતો. મને પહેલાં પીએસઆઈના લીસ્ટમાં ભીખાભાઇનો અડધા મોઢાનો ફોટો બતાવ્યો હતો, મેં તેમને આખું મોઢુ બતાવવા કહ્યું હતું. ત્યારબાદ હવે ઓળખ થઈ છે. > જગદીશ તિવારી, વિદ્યાર્થી પોલીસકર્મી સામે ગુનો નોંધી સસ્પેન્ડ કરવાની માગ કરીકોન્સ્ટેબલ કિરણની હેડ ક્વાટર બદલી કરી દેવાઇ હતી. ગનમેન ભીખાજી સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી. ત્યારે બંને પોલીસકર્મી સામે ગુનો નોંધી સસ્પેન્ડ કરવાની માગ જગદિશ તિવારીએ કરી હતી. બાઇકનો નહીં, હાથનો ફોટો લઈ મેમો આપ્યોજગદીશ તિવારીને રૂ.500નું ઈ-ચલણ અપાયું હતું. તેનો ફોટો બાઇક સાથે ન પાડી સયાજીગંજની જગ્યાએ ઉંડેરાનું સ્થળ જણાવી હથેળીનો ફોટો આપ્યો.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:00 am