SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
... ...View News by News Source

સુરેન્દ્રનગર મોક્ષધામ મેનેજરે ગુમ થયેલા ચેક પરત કર્યા:ખાતાધારક રાજેશ વોરાને ઈમાનદારીપૂર્વક પરત કર્યા

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સંચાલિત મુખ્ય મોક્ષધામના મેનેજર સુમિતભાઈ ઉમરાણીયાએ ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમને મોક્ષધામના પટાંગણમાંથી ખાતાધારક રાજેશભાઈ લાલચંદભાઈ વોરાના ગુમ થયેલા બે ચેક મળ્યા હતા. આ ચેક પર સહી કરેલી હતી, પરંતુ રકમ અને તારીખ લખેલા ન હતા. ચેક રાજકોટ નાગરિક બેંકના હોવાથી, સુમિતભાઈએ પાવર ફાઇનાન્સ બોર્ડના ડિરેક્ટર અને રાજકોટ નાગરિક બેંકના ચેરમેન નરેશભાઈ ધનરાજભાઈ કેલાનો સંપર્ક કર્યો હતો. નરેશભાઈ કેલાએ તાત્કાલિક સુરેન્દ્રનગર રાજકોટ નાગરિક બેંકના બ્રાન્ચ મેનેજર મયુરભાઈ ધોળકિયાને જાણ કરી. બ્રાન્ચ મેનેજરે ખાતાધારક રાજેશભાઈ વોરાનો સંપર્ક કરીને તેમને મોક્ષધામ ખાતેથી ચેક મેળવી લેવા જણાવ્યું. ત્યારબાદ, ખાતાધારક રાજેશભાઈ લાલચંદભાઈ વોરા સુરેન્દ્રનગર મોક્ષધામની ઓફિસ ખાતે આવ્યા હતા. સુમિતભાઈ ઉમરાણીયા અને મોક્ષધામના ચોકિયાત મફાભાઈએ સાથે મળીને તેમને બંને ચેક પરત કર્યા હતા. પોતાના ગુમ થયેલા ચેક પાછા મળતા રાજેશભાઈ વોરાએ ખુશી વ્યક્ત કરી હતી અને સુમિતભાઈ તથા મોક્ષધામના સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 8:50 pm

રૂ. 97 લાખના 'તરતા સોના' સાથે બે ઝડપાયા:સ્પર્મ વ્હેલની ઉલ્ટી લઈને રાજકોટ વેંચવા આવેલા બે શખસોને પોલીસે દબોચી લીધા, મુખ્ય સૂત્રધારની શોધખોળ

રાજકોટમાંથી 97 લાખની સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે બે શખ્સોને માલવીયાનગર પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી હતી. જેમાં મેંદરડાના માનપુર ગામનો શખ્સ વ્હેલ માછલીની ઉલ્ટી લઈ આવ્યો અને ગોંડલ રોડ પરની ખોડિયાર હોટલે રાજકોટના પ્રફુલ ટોળીયાને સપ્લાય કરતા જ પોલીસ ત્રાટકી હતી. મુખ્ય સૂત્રધાર મેંદરડાનો એગ્રો સંચાલક કાળુ પાદરિયા ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ અંગે આગળની કાર્યવાહી ફોરેસ્ટ વિભાગે હાથ ધરી છે. 97 લાખના એમ્બરગ્રીસ (વ્હેલની ઉલટી) સાથે બે ઝડપાયારાજકોટ ACP બી. જે. ચૌધરીએ જણાવ્યુ હતુ કે, ગોંડલ રોડ પર આવેલ ખોડીયાર હોટલની પાસે બે શખ્સો શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે ઉભા હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે માલવિયા નગર પોલીસની ટીમે કાળુ નાગજી કયાડા (ઉ.વ.-60, રહે.માનપુર ગામ પ્લોટ વિસ્તાર, મેંદરડા) અને પ્રફુલ શૈલેષ ટોળીયા (ઉ.વ.33,(રહે. અંકુરનગર શેરી નં 8, જગદીશ ફ્લોર મીલની સામે, અંકુર મેઇન રોડ) ને પકડી પાડી વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) 970 ગ્રામ રૂ.97 લાખ અને બે મોબાઈલ મળી કુલ રૂ.97.25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વનવિભાગે વધુ તપાસ હાથ ધરીવધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વ્હેલ માછલીની ઉલ્ટીની કિંમત બહુ ઉંચી હોવાથી તેનું વેચાણ કરવા ગ્રાહકો શોધખોળ કરતા હોવાની આરોપીઓએ કબૂલાત આપી હતી તેમજ આ મળી આવેલ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) હોવાની એફએસએલ તપાસમાં પ્રાથમિક પુરવાર થતાં આગળની તપાસ વનવિભાગના કાર્યક્ષેત્રને લગતી હોય વધુ તપાસ અર્થે વન વિભાગના અધિકારી રાજકોટને સોંપી છે. હાલ વનવિભાગે માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) ની તપાસ માટે નમૂના દેહરાદૂન લેબમાં મોકલ્યા છે. સપ્લાય બદલ બંને આરોપીને કમિશનર પેટે 5 લાખ મળવાના હતાવધુમાં મળેલ વિગત મુજબ, મેંદરડામાં એગ્રો ચલાવતો કાળુ પાદરીયા નામનો શખ્સ શુક્રવારે રાજકોટ પહોંચી કાળુ કયાડાને માછલીની ઉલ્ટી આપી ગયો હતો. મુખ્ય સૂત્રધાર કાળુ પાદરીયાએ પ્રફુલ ટોળિયાના નંબર અને સરનામું કાળું ક્યાડાને આપ્યું હતુ અને તેને તે સપ્લાય કરવા બદલ રૂ.5 લાખનું કમિશન મળવાનું હતું જોકે તે પહેલા જ કાળુ ક્યાડા અને પ્રફુલ ટોળિયા ઝડપાઈ ગયા હતા.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 8:37 pm

ભાવનગર-સોમનાથ હાઈવે પર કારે સિંહણને અડફેટે લેતા મોત:રોડ ક્રોસ કરતા સમયે પુરપાટ આવતી કારે ઉલાળી, હિટ એન્ડ રન બાદ કારચાલક નાગેશ્રી ટોલનાકાથી ઉના તરફ ફરાર

અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓ પર કાળમુખા વાહનોનો કહેર યથાવત છે. ભાવનગર–સોમનાથ નેશનલ હાઇવે પર જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ટોલનાકા પાસે રસ્તો ક્રોસ કરી રહેલી એક સિંહણને અજાણી કારે જોરદાર ટક્કર મારતા સિંહણનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પુરપાટ ઝડપે આવતી કારે સિંહણને અડફેટે લીધી મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે સિંહણ હાઇવે ઓળંગી રહી હતી, ત્યારે ઉના તરફ જતી એક પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે સિંહણને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે સિંહણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જી કાર ચાલક નાગેશ્રી ટોલનાકું પસાર કરી ઉના તરફ નાસી છૂટ્યો હતો. વન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટઘટનાની જાણ થતા જ જાફરાબાદ રેન્જની વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. વન વિભાગે મૃત સિંહણનો કબજો મેળવી પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ સર્કલના સીએફ રામ રતન નાલાએ જણાવ્યું હતું કે, અજાણ્યા વાહનની અડફેટે સિંહણનું મોત થયું છે. અમારી ટીમ દ્વારા આસપાસના વિસ્તારો અને ટોલનાકાના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે જેથી આરોપી વાહન ચાલકની ઓળખ કરી શકાય. તેમણે વાહન ચાલકોને આ વિસ્તારમાં ગતિ મર્યાદા જાળવવા પણ અપીલ કરી છે. એક જ મહિનામાં ત્રણ વન્યપ્રાણીઓના મોતથી રોષનોંધનીય છે કે છેલ્લા માત્ર એક મહિનામાં આ વિસ્તારમાં અકસ્માતને કારણે બે સિંહ અને એક દીપડા સહિત કુલ ત્રણ વન્યપ્રાણીઓ કાળનો કોળિયો બન્યા છે. હાઇવે પર વાહનોની અનિયંત્રિત ગતિ અને વન્યપ્રાણીઓની સુરક્ષા સામે હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. વન્યપ્રેમીઓમાં આ ઘટનાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હાઇવે પર સ્પીડ બ્રેકર કે વન્યપ્રાણીઓ માટેના સુરક્ષિત કોરિડોરની માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 8:36 pm

કતારગામમાં TP સ્કીમના રિઝર્વેશનના વિરોધમાં જન આક્રોશ:ઢોલના ગડગડાટ સાથે શેરીએ શેરીએ જનજાગૃતિ, 3 ફેબ્રુઆરીએ પાલિકા કચેરીએ જનાક્રોશ રેલી

સુરતના કતારગામ વિસ્તારમાં TP સ્કીમ નંબર 49, 50 અને 51 હેઠળ સ્થાનિકોના રહેણાંક મકાનો, વાડીઓ અને ખુલ્લા પ્લોટ પર લાદવામાં આવેલા સરકારી રિઝર્વેશન સામે રહીશોએ રણશિંગુ ફૂંક્યું છે. આ અન્યાયી નિર્ણયને રદ કરાવવા માટે આગામી 3 ફેબ્રુઆરી, મંગળવારના રોજ સાંજે 4 કલાકે કતારગામ દરવાજાથી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સુધી એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને રિઝર્વેશન હટાવવાની ઉગ્ર માંગ કરવામાં આવશે. ઢોલ-નગારા સાથે શેરીએ શેરીએ જનજાગૃતિ અભિયાનઆગામી રેલીને સફળ બનાવવા માટે કતારગામની વિવિધ સોસાયટીઓમાં ઢોલ વગાડીને અનોખું જનજાગૃતિ અભિયાન છેડવામાં આવ્યું છે. શ્રીજી વિભાગ 1/2, વૃંદાવન, ચિત્રકૂટ, રૂક્ષ્મણી અને નીલકંઠ જેવી સોસાયટીઓની ગલીઓમાં ઢોલના ગડગડાટ સાથે આયોજકોએ લોકોને ઘરની બહાર લાવી રિઝર્વેશનની ગંભીરતા સમજાવી હતી. ઢોલના નાદ સાથે નીકળેલા આ અભિયાનને સ્થાનિકોએ હર્ષભેર વધાવી લીધું હતું અને મોટી સંખ્યામાં લોકોએ મંગળવારની રેલીમાં જોડાવા માટે નિર્ધાર વ્યક્ત કર્યો હતો. બેનરો ઉતારી લેવામાં આવતા વિવાદ વકર્યોતારીખમાં થયેલા ફેરફારની જાણકારી આપવા માટે આયોજકોએ પાલિકાની વિધિવત મંજૂરી મેળવીને શહેરના મુખ્ય સર્કલો પર બેનરો લગાવ્યા હતા. જોકે, કતારગામ ઝોનના દબાણ વિભાગ દ્વારા કોઈના ઈશારે આ કાયદેસરના બેનરો ઉતારી લેવામાં આવતા વિવાદ વકર્યો છે. જનજાગૃતિ અભિયાનમાં ખલેલ પહોંચાડવાના આ પ્રયાસ સામે આયોજકોએ સવાલ ઉઠાવ્યા છે કે જ્યારે તમામ ફી ભરીને મંજૂરીની સ્લિપ બેનર પર લગાવી હતી, તો કયા આધારે તેને દૂર કરવામાં આવ્યા? ઉતારી લેવાયેલા બેનરો ફરીથી તે જ સ્થળો પર લગાવવા માગઆ કાર્યવાહીની જાણ થતા જ અસરગ્રસ્તોનું ટોળું તાત્કાલિક કતારગામ ઝોન ઓફિસ પહોંચ્યું હતું અને અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. રહીશોએ માંગ કરી છે કે ઉતારી લેવાયેલા બેનરો ફરીથી તે જ સ્થળો પર સત્વરે લગાવવામાં આવે. ઢોલના નાદ સાથે શરૂ થયેલું આ આંદોલન હવે વેગ પકડતું જાય છે અને આગામી મંગળવારે કતારગામની જનતા પાલિકા કચેરી ગજવવાની પૂરી તૈયારી કરી ચૂકી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 8:17 pm

મનપાની સાધારણ સભા:18માંથી 17 કામ સર્વાનુમતે મંજૂર, ઔદ્યોગિક હેતુના પ્લોટ લીઝ પર આપવાના કામને લઈ વિપક્ષનો વિરોધ

આજે મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા મળી હતી, આ સભામાં શહેરના વિકાસલક્ષી કુલ 1 થી 18 કામો ચર્ચા માટે લેવામાં આવ્યા હતા, શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે ચાલેલી આ સભામાં મોટાભાગના કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. એક એજન્ડાને લઈ વિપક્ષે વિરોધ કરતા મતદાન કરવાની ફરજ પડી હતી. 12 નંબરના એજન્ડાને લઈ વિરોધનો સૂર ઉઠતા મતદાન કરાયું​સભા દરમિયાન એજન્ડા નંબર 12 ના કામ પર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે મતભેદ જોવા મળ્યો હતો, વિપક્ષી સભ્યો આ કાર્ય સાથે સહમત ન થતા આખરે મતદાન કરવાની ફરજ પડી હતી. જેમાં ભાજપના 34 અને કોંગ્રેસના 6 મત પડ્યા હતા, જોકે, બહુમતીના આધારે આ કામને પસાર કરવામાં આવ્યું હતું, આ એક કાર્ય સિવાયના અન્ય તમામ 1 થી 11 અને 13 થી 18 કામો સભામાં સર્વાનુમતે પસાર થયા હતા, ​સભામાં એજન્ડા નંબર 15 થી 18 અંતર્ગત શહેરના વહીવટ અને સુખાકારી માટે નવા નિયમો બનાવવાની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. આ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ તમામ સભ્યોએ તેને આવકારી હતી અને આ નવા નિયમોને સર્વાનુમતે મંજૂરી આપી હતી, મેયરએ જણાવ્યું હતું કે, આ ફેરફારો ભાવનગરના હિતાર્થે અને વિકાસને વેગ આપનારા સાબિત થશે,​​સભાના અંતે વિપક્ષી નેતા જીતુભાઈ સોલંકી દ્વારા એક વધારાનું કાર્ય રજૂ કરવામાં આવ્યું હતું, આ બાબતે સત્તાપક્ષ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ નિયમ પહેલેથી જ અમલમાં છે અને તેના પર કામગીરી ચાલુ જ છે, આ કારણોસર, વિપક્ષની આ દરખાસ્ત પર મતદાન કરવામાં આવ્યું હતું અને તેને મંજૂરી આપવામાં આવી નહોતી, ઔદ્યોગિક હેતુ માટે અપાયેલી જમીનને લઈ વિપક્ષે આશંકા વ્યકત કરીઆ અંગે વિરોધપક્ષના નેતા જીતુ સોલંકીએ જણાવ્યું હતું કે, ઔદ્યોગિક લીઝ પટ્ટા આવે, ભાવનગરની અંદર ઘણા બધા એવા પ્લોટ છે કે ઉદ્યોગ ચલાવવા માટે આપેલા અને ભાવનગરના ઉદ્યોગ માટે પણ સારી બાબત છે, પણ જ્યારે ઘણા વર્ષોથી લીઝ રીન્યુ ન થયા હોય, પેન્ડિંગ પડ્યા હોય, ઘણા બધા વર્ષોથી અરજીઓ પેન્ડિંગ પડી હોય, અચાનક લીઝ પ્લોટ આવે રીન્યુ થવા અને અચાનક બંધ થઈ જાય, આ સિસ્ટમ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ રૂપ છે એના ભાગે ઘણા સમય પછી આ ઔદ્યોગિક પ્લોટ ત્રણ પ્લોટ આવ્યા તો એમાં પણ આ સાધારણ સભામાં હતા અને મેં રજૂઆત કરી એમાં એક પ્લોટ તો સાવ ઇલલીગલ છે કે ત્યાં ખાલી પ્લોટ છે અને બિલ્ડિંગ મટીરીયલ માટે ભાડે આપેલો છે તો આ ફોરફિટ કરવો જોઈએ અને એની માટે અમે વિનંતી કરી અધ્યક્ષને કે આ ફોરફિટ થવો જોઈએ તો એમને એ સમજાણું નહીં અને એમણે મતદાન ઉપર લઈ અને બહુમતીના જોરે એ કાર્ય મંજૂર કરી દીધેલ છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 8:07 pm

રાજકોટ મ્યુ. કમિશનર વોર્ડ નં-3માં પહોંચ્યા:નવનિર્મિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઓફિસની મુલાકાત લીધી, વોર્ડમાં સ્વચ્છતા અંગે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું

રાજકોટ મ્યુ. કમિશનર તુષાર સુમેરા આજે વોર્ડ નં. 3માં પહોંચ્યા હતા. જ્યાં નવનિર્મિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) ઓફિસની મુલાકાત લીધી હતી. સાથે સ્વચ્છતા સર્વેક્ષણ 2026ને ધ્યાને રાખીને કમિશનર દ્વારા શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે ઓફિસની સુવિધાઓ અને મેદાન સ્તરની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તુષાર સુમેરાએ SWM ઓફિસમાં ઉપલબ્ધ આધુનિક સાધનો, મશીનરી અને વાહનોના વ્યવસ્થાપનની ચકાસણી કરી હતી. તેમણે વોર્ડ નં. 3માં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, ભીના અને સુકા કચરાનું વર્ગીકરણ અને જાહેર સ્થળે સફાઈ પ્રક્રિયા અંગે અધિકારીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત કચરાનાં વ્યવસ્થાપનમાં ટેકનોલોજીનો ઉપયોગ અને નાગરિકોની ભાગીદારી વધારવા પર ભાર મૂક્યો હતો. આ તકે નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ અને નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. મનપાના પ્રોજેક્ટ્સમાં હવે જનતાનો અવાજ ગુંજશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ કાર્યોમાં પારદર્શિતા અને લોકઉપયોગીતા વધારવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ આજે એક પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે, હવેથી મનપાની કોઈપણ યોજના કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં માત્ર ટેકનિકલ કન્સલ્ટન્ટની સલાહ જ નહીં, પરંતુ જે-તે પ્રોજેક્ટના લાભાર્થીઓ એટલે લોકોનો અભિપ્રાય લેવો ફરજિયાત રહેશે. આ નવા અભિગમનો હેતુ નાગરિકોની વાસ્તવિક જરૂરિયાતોને સમજીને સુવિધાઓનું નિર્માણ કરવાનો છે. આ નવી પહેલનો પ્રાયોગિક ધોરણે અમલ વોર્ડ નં. 17 માં બની રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં કરવામાં આવ્યો હતો, જ્યાં ડિઝાઇન નક્કી કરતા પહેલા 21 રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના ખેલાડીનું માર્ગદર્શન લેવાયું હતું. તેવી જ રીતે, સ્માર્ટ સિટી અંતર્ગત નિર્માણાધીન વર્કિંગ વુમન હોસ્ટેલ માટે પણ 100 જેટલી મહિલાઓ સાથે ચર્ચા કરી તેમના સૂચનો મુજબ ડે-કેર અને સેફ્ટી જેવી સુવિધાઓનો સમાવેશ કરાયો છે. હવે કોમ્યુનિટી હોલ, ઓડિટોરિયમ તેમજ લાયબ્રેરી જેવા પ્રોજેક્ટ્સમાં નિષ્ણાંતો અને જનતાના અભિપ્રાય પણ ફરજીયાત લેવાના રહેશે. ઉનાળામાં પાણીની તંગી નહીં રહે રાજકોટવાસીઓને પીવાના પાણીની સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવનાર સૌની યોજના અંતર્ગત આજી-1 ડેમ ફરી એકવાર છલકાવાનાં આરે પહોંચી ગયો છે. આગામી ઉનાળાની સીઝનમાં શહેરમાં પાણીની કોઈ અછત ન સર્જાય તે માટે મહાપાલિકાએ સિંચાઈ વિભાગને આજી અને ન્યારી-1 ડેમમાં નર્મદાના નીર છોડવા દરખાસ્ત કરી હતી. આ વિનંતીને પગલે ચાલુ મહિનાની શરૂઆતથી જ બંને જળાશયોમાં સૌની યોજનાનું પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે જળસ્તરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સિંચાઈ વિભાગના આંકડા મુજબ આજી-1 ડેમમાં અત્યાર સુધીમાં 550 MCFT નર્મદા જળ ઠાલવવામાં આવ્યું છે. આ ડેમની કુલ ક્ષમતા 29 ફૂટની છે, જેની સામે અત્યારે સપાટી 28.25 ફૂટે પહોંચી ગઈ છે. માત્ર પોણો ફૂટ ખાલી રહેલો આ ડેમ 95%થી વધુ ભરાઈ ચૂક્યો છે, આગામી 2 થી 3 દિવસમાં તે 100 ટકા ભરાઈ જવાની પૂરી શક્યતા છે. બીજી તરફ, 25 ફૂટે છલકાતા ન્યારી-1 ડેમમાં પણ 275 MCFT પાણી છોડતા તેની સપાટી 20.75 ફૂટે પહોંચી છે. આમ, નર્મદાના નીરની આવક ચાલુ રહેતા ઉનાળામાં પાણીની તંગી થવાની શક્યતા નહીંવત છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 8:06 pm

વાપીના ઉદ્યોગકારોને કેન્દ્રીય બજેટ 2026થી આશા:ઉદ્યોગમૈત્રીપૂર્ણ નિર્ણયોની અપેક્ષા રાખી રહ્યા છે

કેન્દ્રીય બજેટ 2026ને લઈને સમગ્ર ઉદ્યોગ જગતમાં ઉત્સુકતા છે. દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક હબ વાપીના ઉદ્યોગકારો આ બજેટથી વિશેષ આશા રાખી રહ્યા છે. તેઓ સરકાર તરફથી ઉદ્યોગોને પ્રોત્સાહન આપતા અને વિકાસને વેગ આપે તેવા નિર્ણયોની અપેક્ષા સેવી રહ્યા છે. આગામી 1લી ફેબ્રુઆરી 2026ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે. વાપી, જે દક્ષિણ ગુજરાતના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો પૈકી એક છે, ત્યાંના ઉદ્યોગકારો માટે આ બજેટ ખૂબ મહત્વનું માનવામાં આવે છે. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA)ના પ્રમુખ સતીષભાઈ પટેલે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય બજેટ ઉદ્યોગલક્ષી રહેશે તેવી તેમને પૂરી આશા છે. તેમણે માહિતી આપી હતી કે વાપી અને આસપાસના વિસ્તારમાં અંદાજે 10,000 જેટલા નાના અને મોટા ઉદ્યોગો કાર્યરત છે. આમાં મુખ્યત્વે પેસ્ટિસાઇડ્સ, પેકેજિંગ, કલર ઇન્ટરમીડિયેટ્સ અને એન્જિનિયરિંગ ઉદ્યોગોનો સમાવેશ થાય છે. આ મોટાભાગના ઉદ્યોગો MSME અને SME શ્રેણીમાં આવતા હોવાથી, તેઓ સરકારની નીતિઓ અને બજેટમાં થતી જોગવાઈઓ પર વિશેષ નિર્ભરતા ધરાવે છે. સતીષભાઈ પટેલના મતે, ઉદ્યોગકારોને આશા છે કે આ બજેટમાં પણ ઔદ્યોગિક એકમોના વિકાસ માટે નવી તકો અને રાહતો જાહેર કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 7:48 pm

મોરબી હત્યા કેસમાં ચાર આરોપીઓને આજીવન કેદ:પાલિકાના માજી ઉપપ્રમુખ અને પુત્રની હત્યાનો ચુકાદો

મોરબીમાં વર્ષ 2021માં નગરપાલિકાના માજી ઉપપ્રમુખ અને તેમના પુત્રની હત્યાના ગુનામાં એડિશનલ સેશન્સ કોર્ટે ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે દરેક આરોપીને ₹30,000નો દંડ પણ કર્યો છે. આ કેસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ ઘટના 16 સપ્ટેમ્બર, 2021ના રોજ મોડી રાત્રે બની હતી. મોરબીના વિસીપરા મદીના સોસાયટીમાં રહેતા નગરપાલિકાના માજી ઉપપ્રમુખ ફારૂકભાઈ મોટલાણી અને તેમના પુત્ર ઈમ્તિયાઝ મોટલાણીની તેમના જ ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ છરી અને ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ મામલે મૃતક ફારૂકભાઈના પત્ની રઝીયાબેન મોટલાણીએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આરોપીઓ ડાડુભાઈ ઉર્ફે દાદુ ઉર્ફે રફીક તાજમામદ જેડા, અલતાફઅલી ઉર્ફે અસગઉર્ફે અસો જાકમભાઈ ભટ્ટી, જૂસબ ઉર્ફે જુસો જાકમભાઈ ભટ્ટી અને આસિફ રહીમભાઈ સુમરાએ નગરપાલિકાની ચૂંટણીના મનદુઃખના કારણે આ હત્યા કરી હતી. પોલીસે ઉપરોક્ત ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસ મોરબીના એડિશનલ સેશન્સ જજ કે.આર. પંડ્યાની કોર્ટમાં ચાલી ગયો હતો. સરકારી વકીલ વિજયભાઈ જાની અને ફરિયાદીના વકીલ વી.એચ. કનારા દ્વારા રજૂ કરાયેલા આધાર-પુરાવા અને દલીલોને કોર્ટે ધ્યાનમાં લીધી હતી. તમામ પુરાવા અને દલીલોને આધારે, કોર્ટે ચારેય આરોપીઓ – ડાડુભાઈ ઉર્ફે દાદુ ઉર્ફે રફીક તાજમામદ જેડા, અલતાફઅલી ઉર્ફે અસગઉર્ફે અસો જાકમભાઈ ભટ્ટી, જૂસબ ઉર્ફે જુસો જાકમભાઈ ભટ્ટી (ત્રણેય રહે. મદીના સોસાયટી, મોરબી) અને આસિફ રહીમભાઈ સુમરા (રહે. સનરાજ પાર્ક, વિસીપરા, મોરબી) ને આજીવન કેદની સજા અને ₹30,000નો દંડ ફટકાર્યો છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 7:43 pm

સુરતમાં 32 વર્ષીય મંદબુદ્ધિ યુવતી પર દુષ્કર્મ:પાંચ મહિનાનો ગર્ભ રહેતા ભાંડો ફૂટ્યો, રમતા બાળકને રૂમમાં પૂરી કિશોરે આચર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય

સુરત શહેરમાં વિકૃત માનસિકતાની બે ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. પ્રથમ ઘટનામાં અઠવા વિસ્તારમાં એક 32 વર્ષીય મંદબુદ્ધિ યુવતી પર અજાણ્યા શખસે શારીરિક અત્યાચાર ગુજારી તેને 5 મહિનાની ગર્ભવતી બનાવી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે બીજી ઘટનામાં મહિધરપુરામાં એક 7 વર્ષના માસૂમ બાળકને પડોશમાં રહેતા કિશોરે લલચાવી-ફોસલાવીને પોતાની હવસનો શિકાર બનાવ્યો છે. યુવતીને પાંચ મહિનાનો ગર્ભ રહેતા ભાંડો ફૂટ્યોસુરતમાં રહેતી એક 32 વર્ષીય યુવતી જે માનસિક રીતે અક્ષમ છે, તેની લાચારીનો ફાયદો ઉઠાવી કોઈ અજાણ્યા શખસે તેની સાથે અમાનવીય કૃત્ય આચર્યું છે. ગત 30 જાન્યુઆરી 2026ના રોજ જ્યારે યુવતીએ તેના માતા-પિતાને પેટમાં અને પગમાં દુ:ખાવાની ફરિયાદ કરી, ત્યારે પરિવાર તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. હોસ્પિટલના તબીબોએ તપાસ બાદ જે ખુલાસો કર્યો તેનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ડોક્ટરોએ જણાવ્યું કે, યુવતી પાંચ મહિનાની ગર્ભવતી છે. યુવતી મંદબુદ્ધિ હોવાથી તે પોતાની સાથે થયેલા અન્યાય વિશે કશું બોલી શકવાની સ્થિતિમાં નહોતી. કોઈ અજાણ્યા શખશે તેની અસહાયતાનો ગેરલાભ ઉઠાવી તેની સાથે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી કરી દીધી હોવાનું બહાર આવ્યું છે. આ હચમચાવી દેનાર હકીકત સામે આવતા પરિવારે ન્યાયની ગુહાર લગાવી છે. રમતા બાળકને રૂમમાં પુરી કિશોરે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યશહેરમાં બનેલી બીજી એક ઘટનાએ માનવતાને વધુ એકવાર શર્મસાર કરી છે. જ્યારે એક 7 વર્ષ અને 9 મહિનાનો માસૂમ બાળક પોતાના ફળિયામાં રમી રહ્યો હતો, ત્યારે પડોશમાં જ રહેતા એક કિશોરે તેને લલચાવીને પોતાના ઘરે બોલાવ્યો હતો. કિશોરે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી બાળકને ડરાવી-ધમકાવી તેની સાથે અશોભનીય વર્તન કર્યું હતું. પોતાની વિકૃત માનસિકતા સંતોષવા માટે એક કિશોર દ્વારા માસૂમ બાળક સાથે કરવામાં આવેલા આ સૃષ્ટિ વિરુદ્ધના અકુદરતી કૃત્યએ સૌને હચમચાવી દીધા છે. આ મામલે બાળકના પરિવારે હિંમત દાખવીને મહિધરપુરા પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 7:42 pm

પોરબંદર કોર્પોરેશને પૂર્વ કાઉન્સિલરો સાથે બેઠક યોજી:આગામી 2026-27ના બજેટ માટે સૂચનો મેળવાયા

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના આગામી બજેટની તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે, મહાનગરપાલિકાના સભાખંડ ખાતે પૂર્વ કાઉન્સિલરો સાથે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ આગામી બજેટ માટે અભિપ્રાયો અને સૂચનો મેળવવાનો હતો. બેઠક દરમિયાન, મહાનગરપાલિકાના અધિકારીઓએ પૂર્વ કાઉન્સિલરોને આગામી બજેટમાં સમાવી શકાય તેવા પ્રોજેક્ટો અંગે પોતાના સૂચનો રજૂ કરવા વિનંતી કરી હતી. આ ઉપરાંત, નગરજનો પણ ૩ ફેબ્રુઆરી સુધીમાં એક ખાસ એપ્લિકેશન દ્વારા પોતાના અભિપ્રાયો અને સૂચનો રજૂ કરી શકશે. પૂર્વ કાઉન્સિલરો દ્વારા અનેક મહત્વપૂર્ણ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં પક્ષી અભ્યારણ વોકિંગ પ્લાઝા ખાતે રિનોવેશન કરીને ત્યાં લાઈટિંગ, કેમેરા, ટોયલેટ અને જીમના સાધનો વસાવવાનો સમાવેશ થાય છે. અન્ય સૂચનોમાં દરેક વોર્ડમાં પૂરતા સ્ટાફ સાથે હેલ્થ સેન્ટર બનાવવાની વ્યવસ્થા કરવી, તમામ ભૂગર્ભ ચેમ્બરોનું રીપેરીંગ કરવું, ચોપાટી વિસ્તારમાં શૌચાલય અને પીવાના પાણીની સગવડો ઊભી કરવી અને નવી શૈક્ષણિક વ્યવસ્થાનો સમાવેશ થાય છે. વધુમાં, દરેક વિસ્તારોમાં ઉપલબ્ધ સાર્વજનિક પ્લોટનો સ્થાનિકોના અભિપ્રાય લઈને વિકાસ કરવો, તેમજ વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે જરૂરી વ્યવસ્થા અને પંપિંગ સેન્ટરની સુવિધા ઊભી કરવા જેવા મુદ્દાઓ પણ રજૂ કરાયા હતા. મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે આ તમામ સૂચનોને આગામી બજેટમાં યોગ્ય રીતે ધ્યાનમાં લઈને શહેરના સર્વાંગી વિકાસ માટે જરૂરી આયોજન કરવામાં આવશે. ઉપસ્થિત સર્વે પૂર્વ સભાસદોનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 7:42 pm

ખંભાતથી દેશી રિવોલ્વર સાથે એક શખ્સ ઝડપાયો:આણંદ SOGએ નગીના મસ્જિદ પાસે વોચ ગોઠવી પકડ્યો

આણંદ SOGએ ખંભાતમાંથી એક શખ્સને દેશી બનાવટની રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો છે. ગેરકાયદે હથિયારો પકડવાની ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે એક યુવક હથિયાર સાથે ફરી રહ્યો છે. બાતમીના આધારે SOGની ટીમે નગીના મસ્જિદ પાસે વોચ ગોઠવી હતી. મસ્જિદ તરફથી આવી રહેલા ઝેદ અહેસાન અંસારી ને અટકાવવામાં આવ્યો હતો. તલાશી લેતા તેના પેન્ટની કમરના ભાગેથી રૂ. 5 હજારની કિંમતની દેશી બનાવટની રિવોલ્વર મળી આવી હતી. પોલીસે રિવોલ્વર ઉપરાંત રૂ. 3 હજારની કિંમતનો મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. કુલ રૂ. 8 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી ઝેદ અહેસાન અંસારી વિરુદ્ધ ખંભાત સિટી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 7:30 pm

સહકારી અધિકારીએ 26 મંડળીના ઓડિટ કર્યા:અધિકૃત ન હોવા છતાં, ખોટી સહી-સિક્કા કરતાં ફરિયાદ નોંધાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરીમાં મદદનીશ સહકારી અધિકારી તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ ટેમભા ઝાલા (ઉ.વ. 49) સામે ફરિયાદ નોંધાઈ છે. તેમણે અધિકૃત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ન હોવા છતાં 1 મે 2024 થી 30 જૂન 2024 દરમિયાન 26 સહકારી મંડળીઓના ઓડિટ કર્યા હતા. ઝાલા પર આરોપ છે કે તેમણે અંગત આર્થિક લાભ મેળવવાના હેતુથી આ ઓડિટ કર્યા હતા. તેમણે ઓડિટ ફી પેટે કુલ રૂપિયા 78,000 મેળવ્યા હતા. આ માટે તેમણે બે અલગ-અલગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને પેનલ ઓડિટરની ખોટી સહી-સિક્કાનો ઉપયોગ કર્યો હતો. આ રીતે તૈયાર કરાયેલા ખોટા ઓડિટ અહેવાલોને દેવભૂમિ દ્વારકા જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરીમાં સાચા અહેવાલ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. જામનગરના બળવંતરાય ચંદ્રકિશોર જોશી (ઉ.વ. 52) ની ફરિયાદના આધારે ખંભાળિયા પોલીસે મહેન્દ્રસિંહ ટેમભા ઝાલા સામે આઈપીસી કલમ 409, 418, 419, 465, 468 અને 471 હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ પી.એસ.આઈ. એસ.ઓ. સાંધ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 7:30 pm

બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં 50,831 વિદ્યાર્થીઓએ CETની પરીક્ષા આપી:219 કેન્દ્રો પર 2,194 બ્લોકમાં પરીક્ષા યોજાઇ, 79.62% હાજરી નોંધાઈ

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા આયોજિત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ - 2026 (CET-2026) પરીક્ષા 31 જાન્યુઆરી, 2026ના રોજ શનિવારે બપોરે 1:00 થી 3:30 કલાક દરમિયાન યોજાઈ હતી. આ પરીક્ષા બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં લેવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. હિતેષભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આ પરીક્ષાનું આયોજન થયું હતું. કુલ 219 પરીક્ષા કેન્દ્રો પર 2,194 બ્લોકમાં 63,838 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેમાંથી 50,831 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષામાં હાજરીની ટકાવારી 79.62% નોંધાઈ હતી. તમામ પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ હતી.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 7:29 pm

ગોધરાની મેસરી નદી પટમાં 100 થી વધુ મિલકતધારકોને નોટિસ:સાત દિવસમાં સ્વેચ્છાએ દબાણ હટાવવા નગરપાલિકાનો આદેશ

ગોધરા શહેરમાં મેસરી નદીના પટમાં વસવાટ કરતા 100 થી વધુ મિલકતધારકોને નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. તેમને સાત દિવસમાં સ્વેચ્છાએ દબાણ દૂર કરવા અથવા માલિકીના પુરાવા રજૂ કરવા જણાવાયું છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નદીના પટમાં થયેલા દબાણો અને રહેણાંક મિલકતો અંગે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. નગરપાલિકાની દબાણ શાખાની ટીમે તમામ મિલકતધારકોને વિધિવત નોટિસ પાઠવી છે. આ નોટિસમાં મિલકતધારકોને પોતાની માલિકી કે વસવાટ સંબંધિત આધાર-પુરાવા રજૂ કરવા અથવા નોટિસ મળ્યાના સાત દિવસની અંદર સ્વેચ્છાએ દબાણો દૂર કરવા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 7:08 pm

હડવદ પોલીસ-ખેડૂત ઘર્ષણના આરોપી AAP નેતાઓને જામીન:બોટાદ કોર્ટે રાજુ કરપડા અને પ્રવિણ રામ સહિત સાતના જામીન મંજૂર કર્યા, 4 મહિનાથી જેલમાં બંધ હતા

બોટાદ જિલ્લાના હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલી અથડામણના કેસમાં કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત કુલ 7 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. જામીન મેળવનાર અન્ય આરોપીઓમાં રમેશ વાલજી મેર, હંસરાજ વશરામ ભાલાળા, વિપુલ ઉર્ફે કમલેશ હકા હરિયાણી, વિપુલ વિનુ મકવાણા અને જીતેન્દ્ર રસિક ગોવિંદિયાનો સમાવેશ થાય છે. અગાઉ 81 આરોપીઓને જામીન મળ્યા હતાપોલીસે આ મામલે કુલ 88 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી, જેમાં 85 ઉપરાંત 3 અન્યનો સમાવેશ થાય છે. અગાઉ, કોર્ટે આ કેસમાં 81 આરોપીઓને જામીન મંજૂર કર્યા હતા. બાકી રહેલા 7 આરોપીઓએ બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેને આજે મંજૂરી મળી છે. કયા સાત નેતાઓ અને ખેડૂત જેલમાં બંધ હતા આખો બનાવ શું છે?બોટાદ APMCમાં કપાસ અને અન્ય જણસમાં 'કડદો' કરી ખેડૂતોને ઓછા ભાવ આપવાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. 12 ઓક્ટોબરના રોજ પોલીસે મંજૂરી નકારી હોવા છતાં, આમ આદમી પાર્ટી (AAP) દ્વારા બોટાદના હડદડ ગામે ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરાયું હતું. ગેરકાયદેસર મંડળીને વિખેરવા પહોંચેલી પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું, જેમાં પોલીસ કાફલા પર પથ્થરમારો થયો હતો અને સરકારી વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી.આ પણ વાંચો, AAPની ખેડૂત મહાપંચાયતમાં પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ કોર્ટે દલીલો સાંભળી રિમાન્ડ મંજૂર કર્યાપોલીસે ધરપકડ કરાયેલા 65 આરોપીઓને 14 ઓક્ટોબરે સાંજે રજૂ કર્યા હતા જેમાં કોર્ટમાં મોડી રાત સુધી દલીલો ચાલી હતી. જે પૈકી પોલીસે 18 આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે પોલીસની દલીલો સાંભળીને 18 આરોપીઓના 20 ઓક્ટોબર સુધીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે બાકીના 47 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અન્યને પણ જેલહવાલે કરાયા હતા.આ પણ વાંચો, કરપડાના ભાષણથી હિંસા ભડકી! સરપંચના પતિનો દાવો ચારથી વધુ પોલીસકર્મીઓને ઇજા ઘર્ષણની આ ઘટનામાં બોટાદના DySP મહર્ષિ રાવલ (પગે ઇજા), LCB PI એ.જી. સોલંકી (માથાના ભાગે સાત ટાંકા) સહિત ચારથી વધુ પોલીસ કર્મચારીઓને ઇજા પહોંચતા સારવાર અર્થે સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બોટાદ માર્કેટયાર્ડની મુલાકાત લીધીબોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગઈકાલે(14 ઓક્ટોબરે) બોટાદ માર્કેટિંગ યાર્ડની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન યાર્ડના ચેરમેન મનહર માતરિયા તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ યાર્ડમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને સુવિધાઓ અંગે ચર્ચા કરી હતી. યાર્ડના સંચાલકોએ જણાવ્યું કે ખેડૂતોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 'મેં સરકારમાં રજૂઆત કરી છે કે, આ કેસની તપાસ CIDને સોંપવામાં આવે'ધારાસભ્ય ઉમેશ મકવાણાએ તાજેતરમાં હડદડ ગામે બનેલી ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું કે, આ ઘટના હડદડ ગામ અને બોટાદ યાર્ડને બદનામ કરવાનું એક સુનિયોજિત કાવતરું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આવા કાવતરાખોરોને કોઈપણ સંજોગોમાં છોડવામાં ન આવે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે મેં સરકારમાં રજૂઆત કરી છે કે, આ કેસની તપાસ CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવે માર્કેટયાર્ડની મુલાકાત બાદ, ધારાસભ્ય ઉમેશ મકવાણા સીધા હડદડ ગામે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્થાનિક લોકો અને પીડિત પરિવારો સાથે મુલાકાત કરી ઘટનાની સંપૂર્ણ વિગતો મેળવી અને તેમને સાંત્વના પાઠવી હતી. સ્થાનિકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યોઆ ઘર્ષણની ઘટના બાદ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને ખાતરી કરી હતી કે કોઈ નિર્દોષ વ્યક્તિને અન્યાય ન થાય. નિર્દોષોની મુક્તિ બાદ હડદડ ગામના સરપંચના પતિ સોમાભાઈ જમોડ અને અન્ય સ્થાનિક લોકોએ બોટાદ પોલીસના ન્યાય સંગત વલણ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસના આ પ્રયાસોને કારણે ગામમાં ફરી શાંતિ સ્થપાઈ છે અને જનજીવન સામાન્ય બનવા લાગ્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 7:05 pm

દેવનાથ મહાદેવ મંદિરમાં ચોરી કરનાર કુંભારવાડાનો 'લંબુ' ઝડપાયો:મંદિર આસપાસ 6 મકાનોમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો'તો, ઘટનાસ્થળે રી-કન્સ્ટ્રક્શન

ભાવનગરના દેવુબાગ વિસ્તારમાં આવેલ દેવનાથ મહાદેવ મંદિરને ચોરી માટે અલ્તાફ ઉર્ફે લંબુ અબુભાઈ બેલીમે નિશાન બનાવ્યું હતું. તેમજ આ લંબુએ મંદિરના દરવાજાનો આગળીયો તોડી મૂર્તિઓ પરના હારની ચોરી કરી છે, એટલું જ નહીં, આસપાસના 6 જેટલા રહેણાંક મકાનોમાં પણ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરતા રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. આ તમામ ચોરીનો ઘટનાક્રમ Cctv માં કેદ થતા પોલીસે ગણતરીની કલાકો ઝડપી લઈ ઘટના સ્થળે લઈ જઈ રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે એક શખ્સ ચોરી કરતો હોય એમ નજરે પડ્યો હતોઆ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકેથી જણાવા મળતી વિગતો અનુસાર શહેરના ​દેવુબાગ સોસાયટીના પ્રમુખ જશપાલસિંહ ખોડુભા ગોહીલે ફરિયાદ નોંધાવી હતી કે, ગત 26 જાન્યુઆરીના રોજ વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં એક શખ્સ ચોરી કરતો હોય એમ નજરે પડ્યો હતો. મંદિરના પુજારી દલપતપરી ગૌસ્વામી જ્યારે પૂજા માટે પહોંચ્યા ત્યારે તેમને મંદિરના મુખ્ય દરવાજાની જમણી બાજુનો આગળીયો તૂટેલો જોવા મળ્યો હતો. દાનપેટી તોડવાનો નિષ્ફળ પ્રયાસ​તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મંદિરની અંદર બિરાજમાન હનુમાનજી અને ગણપતિ દાદાની મૂર્તિ પર પહેરાવેલા અંદાજે રૂ.10 હજારની કિંમતના 2 મેટલના હાર કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. ચોરે મંદિરની દાનપેટી તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં તેઓ સફળ થયો નહોતો. મૂર્તિઓ પરથી હાર ચોરતો કેમેરામાં કેદ થયોચોરીની જાણ થતા સોસાયટીના અગ્રણીઓએ એકઠા થઈ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં એક અજાણ્યો શખ્સ મૂર્તિઓ પરથી હાર ચોરતો કેમેરામાં કેદ થયો હતો. અને ​મંદિરમાં ચોરી કર્યા બાદ તસ્કરોએ સોસાયટીમાં જ રહેતા પીયુષભાઈ રાઠોડ, અબ્બાસભાઈ ભોજાણી, ભાયાભાઈ પટેલ, સબીરઅલી વરતેજી, મેંદીભાઇ વરતેજી અને પરવતસિંહ ગોહીલના મકાનોના આગળીયા તોડી અંદર પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે ચોર લંબુને ઝડપ્યો અને રી-કન્સ્ટ્રક્શન કરાયુંજોકે, આ તમામ મકાનોમાં ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આથી ​નીલમબાગ પોલીસે જશપાલસિંહ ગોહીલની ફરિયાદના આધારે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ ઘરતા પોલીસે ગણતરીની કલાકમાં અલ્તાફ ઉર્ફે લંબુ અબુભાઈ બેલીમની ઝડપી લઈ રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 7:03 pm

આવતીકાલે ફ્રી મેડિકલ ચેકઅપ યોજાશે:અમદાવાદના અસલાલીમાં 'આવો ગાંવ ચલે' પ્રોજેક્ટ અંતર્ગત નિષ્ણાંત તબીબો આપશે સેવા

મણિબેન હિરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામ અને અમદાવાદ મેડિકલ એસોશિએશન દ્વારા ' આવો ગાંવ ચલે' પ્રોજેક્ટ અંતર્ગત આયોજિત ફ્રી મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના અસલાલી ગામના દરબાર નિવાસ ખાતે આવતીકાલે સવારે 9થી 1 વાગ્યા સુધી ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. નિષ્ણાંત તબીબો દ્વારા તમામ લોકોને ફ્રી બેઝિક બ્લડ ટેસ્ટ, ફ્રી બેઝિડ દવાઓ વિતરણ કરાશે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:59 pm

ગોધરા મરઘા કેન્દ્ર દ્વારા 244 લાભાર્થીઓને સહાય:વિવિધ યોજનાઓ હેઠળ અત્યાર સુધીમાં લાભ અપાયો

ગોધરા: જિલ્લા પશુપાલન વિભાગ હેઠળના મરઘા સેવા કેન્દ્ર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત અત્યાર સુધીમાં 244 લાભાર્થીઓને સહાય પૂરી પાડવામાં આવી છે. આ યોજનાઓ હેઠળ કુલ 477 અરજીઓ પ્રાપ્ત થઈ હતી. કેન્દ્ર દ્વારા તાલીમ, 100 બ્રોયલર પક્ષી ફાર્મ અને 1000 બ્રોયલર પક્ષી ફાર્મ જેવી યોજનાઓ ચલાવવામાં આવે છે. પ્રાપ્ત થયેલી 477 અરજીઓમાંથી 244 લાભાર્થીઓને સીધો લાભ મળ્યો છે. મરઘા ઉછેર અંગેની તાલીમ માટે આશરે ₹10.95 લાખની રકમ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, લાભાર્થીઓને R.I.R. અને કડકનાથ જેવી જાતના 25 મરઘા પણ પૂરા પાડવામાં આવ્યા છે. તમામ યોજનાઓ મળીને કુલ ₹65.44 લાખની રકમ કેટલાક લાભાર્થીઓને ચૂકવી દેવામાં આવી છે. અન્ય લાભાર્થીઓ માટે ચૂકવણીની પ્રક્રિયા હાલમાં ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:53 pm

ખાખસર શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી:‘રંગોત્સવ’માં 22 કલાકૃતિઓ પ્રદર્શિત, તેજસ્વી વિદ્યાર્થીઓ સન્માનિત; 400 બાળકોને શૈક્ષણિક કીટ

આણંદના તારાપુર તાલુકાની પીએમ શ્રી ખાખસર પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના પ્રાંગણમાં 'રંગોત્સવ-2026' સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન થયું હતું, જેમાં 400 બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. આચાર્ય રાકેશકુમાર સોલંકીના માર્ગદર્શન હેઠળ 15 દિવસની મહેનત બાદ 22 જેટલી વિવિધ કલાકૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. આ કૃતિઓ મહોત્સવમાં પ્રદર્શિત કરવામાં આવી હતી, જેણે ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના સદસ્ય ગજરાબેન મકવાણા, સહકારી મંડળીના ચેરમેન બળદેવભાઈ ભરવાડ અને ઇન્ચાર્જ સરપંચ રમીલાબેન મકવાણા સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કર્યું હતું. શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 44 તેજસ્વી વિદ્યાર્થીઓને નિવૃત આચાર્ય વિઠ્ઠલભાઈ પરમાર તરફથી ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, ગામના દાતા ગણેશભાઈ પરમાર દ્વારા શાળાના 400 બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં એન.એસ. પટેલ કોલેજના પ્રાધ્યાપક કૃપેશભાઈ ચૌહાણ અને કોરિયોગ્રાફર અભિષેકભાઈ સોનીએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. સાગર ઇન્ટરનેશનલ સ્કૂલના માલિક યોગેશભાઈ ઠક્કર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતિમ ચરણમાં શાળાના વિકાસમાં યોગદાન આપનાર કર્મવીરોનું સન્માન કરાયું હતું. લક્ષ્મીબેન મકવાણા તરફથી શાળાના શિક્ષક સ્ટાફ, મધ્યાહન ભોજનના કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે રિસોર્સ પર્સન જયંતીભાઈ, જયેશભાઈ અને જગદીશભાઈ ગોહેલે સહયોગ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:42 pm

કાર અકસ્માતમાં 3 શિક્ષકો ભડથું, ડ્રાઈવર સામે FIR:ગોંડલ - આટકોટ હાઈવે પર ગોઝારા એક્સિડન્ટમાં કારની સ્પીડ કેટલી, આગ કેમ લાગી તેની તપાસ થશે

30 જાન્યુઆરીના શુક્રવારના રોજ વહેલી સવારે ગોંડલ - આટકોટ હાઈવે પર જસદણના દડવા નજીક ફોર વ્હીલર કાર પુલ નીચે ખાબકતા તેમાં આગ લાગતા કારમાં સવાર ત્રણ શિક્ષકોના સ્થળ પર જ મૃત્યુ થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. જે મામલે આજે 31 જાન્યુઆરીએ રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે મૃતક કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધવાની સાથે કારની સ્પીડ સહિતની એફ. એસ. એલ. ની મદદથી તપાસ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. અકસ્માતમાં 45 વર્ષીય આશા ચૌધરી, 29 વર્ષીય નીતા પટેલ તેમજ 35 વર્ષીય પ્રયાગ બારીયા નામના શિક્ષકોનું મૃત્યુ થયુ હતુ. શુક્રવારના રોજ ત્રણેય શિક્ષકો કારમાં આટકોટથી ગોંડલ તરફ જઈ રહ્યા હતા તે સમયે કાર પુલ નીચે ખાબકતા જોત જોતામાં કારમાં આગ લાગી હતી. ત્રણેય શિક્ષકો કારની બહાર નીકળે તે પૂર્વે જ કાર આગની લપેટમાં આવી જતા ત્રણેય શિક્ષકો કારમાં જ બળીને ભડથું થઈ ગયા હતા. રસ્તા પરથી પસાર થનાર રાહદારી દ્વારા સમગ્ર મામલે 112 પર ફોન કરતા તાત્કાલિક અસરથી 108 ની ટીમ, ગોંડલ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તેમજ આટકોટ પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ઘટના સ્થળ પર દોડી ગયેલી ગોંડલ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. તેમજ ત્યારબાદ કારના દરવાજાઓ તોડીને કારમાંથી ભડથું થઈ ગયેલા શિક્ષકોની લાશને સૌપ્રથમ જસદણ પોસ્ટમોર્ટમ તેમજ ત્યારબાદ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર છોટા ઉદેપુરના ત્રણેય શિક્ષકો પૈકી આશા ચૌધરીનો પુત્ર ગોંડલ સ્વામિનારાયણ ગુરુકુળમાં ધોરણ 10 માં અભ્યાસ કરે છે. પુત્રની તબિયત સારી ન હોવાથી તેને લેવા માટે પોતાના સાથી શિક્ષકો સાથે ગોંડલ આવી રહ્યા હતા. જે દરમિયાન શુક્રવારના રોજ વહેલી સવારે દુર્ઘટના ઘટી હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવ્યા હતા. જે અંતર્ગત કાર આટકોટથી ગોંડલ તરફ જઈ રહી હોવાનું સામે આવ્યું હતું. બનાવ સંદર્ભે આટકોટ પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. સંભવતઃ કાર ચાલક દ્વારા સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા સમગ્ર ઘટના બની હોવાનું જણાઈ રહ્યું છે. સવારના સમયે ધુમ્મસ ભર્યું વાતાવરણ તેમજ કાર ચાલકની બેદરકારીના કારણે અકસ્માતની ઘટના ઘટિત થઈ હોવાનું જણાઈ રહ્યું છે. આ દરમિયાન રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યુ હતું કે, આટકોટ પોલીસ સ્ટેશન ખાતે મૃતક આશા ચૌધરીના મોટા દીકરા કશ્યપ ચૌધરી દ્વારા બીએનએસની કલમ 106 (1), 281 તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત મૃતક કાર ચાલક પ્રયાગ બારીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા એફએસએલ તેમજ આરટીઓ મારફતે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. અકસ્માત સમયે કારની સ્પીડ કેટલી હતી? તેમજ અકસ્માત કઈ રીતે સર્જાયો તેમજ ત્યારબાદ કઈ રીતે આગ લાગી તે સહિતની બાબતો અંગે પોલીસ દ્વારા એફએસએલની મદદથી તપાસ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:36 pm

ફેક IDનો ઉપયોગ કરી મહિલાની પજવણી:આણંદ સાયબર ક્રાઈમ પોલીસે મહિલાઓને બદનામ કરનાર આરોપીની કરી ધરપકડ

આણંદ સાયબર ક્રાઈમ પોલીસે સોશિયલ મીડિયા દ્વારા મહિલાઓને બદનામ કરવાના હેતુથી ફેક આઈડી બનાવી પજવણી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરી છે. પોલીસ મહાનિરીક્ષક અને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે તપાસના અંતે ખંભાતના રહેવાસી આરોપી જયવીર જયરાજભાઈ જોષીની ધરપકડ કરી છે. આ કેસની વિગત મુજબ, '108 ખંભાત વિધાનસભા' નામના વોટ્સએપ ગ્રુપમાં કેટલાક શખ્સોએ આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબરોનો ઉપયોગ કરીને ફરિયાદીના પરિવાર વિશે અત્યંત વાંધાજનક પોસ્ટ મૂકી હતી. આ ઉપરાંત, આરોપીઓએ ઇન્સ્ટાગ્રામ પર પણ ફેક આઈડી બનાવી મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી તેમને સામાજિક રીતે બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ પોતાની ઓળખ છુપાવવા માટે દક્ષિણ આફ્રિકા (+27) અને યુકે (+44) જેવા દેશોના આંતરરાષ્ટ્રીય નંબરોનો ઉપયોગ કરતા હતા. જોકે, આણંદ સાયબર ક્રાઈમની ટેકનિકલ ટીમે અત્યાધુનિક સર્વેલન્સ, આઈપી એડ્રેસનું વિશ્લેષણ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સના આધારે આરોપીને શોધી કાઢ્યો હતો. આ મામલે આરોપી વિરુદ્ધ બી.એન.એસ. એક્ટ 2023ની કલમ 352, 296(બી) તથા આઈટી એક્ટની કલમ 67 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સફળતા બાદ સાયબર પોલીસે જનતાને અપીલ કરી છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ હંમેશા જવાબદારીપૂર્વક કરવો જોઈએ અને કોઈપણ પ્રકારની સાયબર પજવણીના કિસ્સામાં તુરંત પોલીસનો સંપર્ક કરવો જોઈએ.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:33 pm

હિંમતનગર પાલિકાની સામાન્ય સભામાં વિકાસ કાર્યોને મંજૂરી:ભેળવાયેલા પંચાયત વિસ્તારોમાં ટેન્ડર પ્રક્રિયા માટે લીલી ઝંડી

હિંમતનગર પાલિકાની સામાન્ય સભા શનિવારે ડૉ. નલિનકાંત ગાંધી ટાઉન હોલમાં યોજાઈ હતી. આ સભામાં પાલિકા વિસ્તારમાં ભળી ગયેલા પંચાયત વિસ્તારોમાં વિકાસ કાર્યો કરવા માટે ટેન્ડર પ્રક્રિયા અને કન્સલટન્સી ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ખડબચીયા અને બગીચા હેડક્વાર્ટસ ખાતે નવા ક્લોરીનેશન પ્લાન્ટને પણ મંજૂરી મળી હતી. પાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને મળેલી આ સભામાં, પંચાયતમાંથી પાલિકામાં સમાવિષ્ટ થયેલા સોસાયટી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યો માટે જરૂરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા અને કન્સલટન્સી સેવાઓનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. સભામાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન ગ્રાન્ટ વર્ષ ૨૦૨૬-૨૭ હેઠળ ફાળવેલા રૂપિયા ૨૫ લાખમાંથી નગરપાલિકા વિસ્તારમાં વિકાસ કામો નક્કી કરવાનો નિર્ણય લેવાયો હતો. વધુમાં, બિનઅધિકૃત બાંધકામમાંથી મળેલી ઇમ્પેક્ટ ફીની આવકમાંથી મોતીપુરા વિસ્તારમાં નવી સિવિલ હોસ્પિટલ સામે ૧૮ મીટર ટીપી રોડના મેટલીંગ કામગીરી માટે જીયા કન્સલટન્સી પાસેથી એસ્ટીમેન્ટ અને ટેન્ડર સંબંધિત કાર્યવાહી કરવા પણ નિર્ણય કરાયો હતો. પાલિકાના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓના રિસર્ફેસીંગની કામગીરી માટે નવી ગ્રાન્ટમાંથી તેમજ વધારાનો ખર્ચ સ્વભંડોળમાંથી કરવા અંગે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, નગરપાલિકા અને ભળી ગયેલા પંચાયત વિસ્તારમાં નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી માટે કન્સલટન્ટ ડીસા સિવિલ એન્જીનીયરીંગ ડિઝાઇન, ગાંધીનગર દ્વારા રજૂ કરાયેલા ડીપીઆર મુજબ, પ્રાથમિકતાના ધોરણે બોરવેલ માટે રૂ. ૯.૧૨ લાખના ખર્ચનું ટેન્ડર ઉપલબ્ધ ગ્રાન્ટમાંથી કરવા મંજૂરી અપાઈ હતી. પાલિકા વિસ્તારના ખડબચીયા અને બગીચા હેડક્વાર્ટસ ખાતેના ક્લોરીનેશન પ્લાન્ટ ૨૦ વર્ષથી વધુ જૂના હોવાથી, નવા ક્લોરીનેશન પ્લાન્ટની કામગીરી કરવા માટે નવા એસ્ટીમેન્ટ બનાવી, થનાર ખર્ચ ઉપલબ્ધ ગ્રાન્ટ અને સ્વભંડોળમાંથી કરવા માટેની મંજૂરી લેવામાં આવી હતી. અશ્વમેઘ સોસાયટીના બાકી રહેલા વિસ્તારમાં પીવાના પાણીની લાઇન નાખવા તેમજ વોર્ડ નં. ૧ માં મહેતાપુરા વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી માટે વધુ ત્રણ માસની સમયમર્યાદા વધારવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:32 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:કારે ટક્કર મારતા 30 ફૂટ ઊંચા બ્રિજ પરથી યુવક પટકાયો, મેડિકલ કોલેજના પ્રોફેસર સામે રેગિંગની ફરિયાદથી ખળભળાટ

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:30 pm

ગોધરા યુનિવર્સિટીમાં ડૉ. વિજય પંડ્યાનું વિશેષ વ્યાખ્યાન:રામાયણની સમીક્ષિત આવૃત્તિના ગુજરાતી અનુવાદ પર ચર્ચા કરાઈ

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાના અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના પૂર્વ અધ્યક્ષ ડૉ. વિજય પંડ્યાનું વિશેષ વ્યાખ્યાન યોજવામાં આવ્યું. આ વ્યાખ્યાન યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. હરિભાઈ કાતરીયાના માર્ગદર્શન અને અધ્યક્ષપણા હેઠળ યોજાયું હતું. ડૉ. વિજય પંડ્યાનું જીવન રામાયણના અભ્યાસ અને સંશોધનને સમર્પિત રહ્યું છે. તેમણે વ્યાખ્યાનના પ્રારંભમાં ગોધરા સાથેના પોતાના સંસ્મરણો યાદ કર્યા હતા. વ્યાખ્યાનમાં ડૉ. વિજય પંડ્યાએ રામાયણની સમીક્ષિત આવૃત્તિના ગુજરાતી અનુવાદ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે, 'ભારત દેશમાં રામાયણની સમીક્ષિત આવૃત્તિનો 100 વર્ષ પછી મારા દ્વારા ગુજરાતી અનુવાદ થયો તેનું મને ગર્વ છે.' આ પ્રસંગે પ્રોફે. ડૉ. કાલિન્દીબેન શાસ્ત્રી, સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. ભાવપ્રકાશ ગાંધી, બોર્ડ ઓફ સ્ટડીના ચેરમેન ડૉ. રાજેશ વ્યાસ, રજિસ્ટ્રાર અનિલ સોલંકી, વિવિધ કોલેજોના પીએચ.ડી. માર્ગદર્શક પ્રાધ્યાપકો, પીએચ.ડી.ના શોધાર્થીઓ અને અનુસ્નાતક સંસ્કૃત વિભાગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:27 pm

વેરાવળ ST ડેપોમાં રાત્રી ફરજ કર્મચારીઓ માટે કેમ્પ:નેત્ર નિદાન, BP-શુગર તપાસથી માર્ગ સલામતી સુનિશ્ચિત

વેરાવળ GSRTC એસ.ટી. ડેપો ખાતે ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ નેશનલ રોડ સેફ્ટી મંથ–૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે નિઃશુલ્ક નેત્ર નિદાન અને આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લિ. યુનિટ – ઇન્ડિયન રેયોન વેરાવળના જનસેવા ટ્રસ્ટના સહયોગથી યોજાયો હતો. એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવર, કન્ડક્ટર અને મિકેનિક સ્ટાફ, ખાસ કરીને રાત્રી શિફ્ટ દરમિયાન, લાંબા સમય સુધી વાહન ચલાવવાની અને તણાવભરી કામગીરીને કારણે આંખ તથા આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરતા હોય છે. આવા કર્મચારીઓના આરોગ્યની ચિંતા અને માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેપો મેનેજર દિલીપ શામળાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાત્રી ફરજ બજાવતા કર્મચારીઓ માટે આ પ્રકારની આરોગ્ય તપાસ અત્યંત જરૂરી છે. આ કેમ્પમાં કર્મચારીઓની આંખની તપાસ સાથે બ્લડ પ્રેશર (BP) અને શુગરની પણ મફત ચકાસણી કરવામાં આવી હતી. આ આરોગ્ય તપાસ કેમ્પ આ શ્રેણીનો બીજો કેમ્પ હતો, જેને કર્મચારીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. કેમ્પ દરમિયાન આદિત્ય બિરલા હોસ્પિટલ, વેરાવળના અનુભવી તજજ્ઞો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. જેમાં ડૉ. અસ્કા પટેલ (MD Ophtho.) – મેડિકલ ઓફિસર અને તેમની નિષ્ણાત ટીમે કર્મચારીઓની આંખોની તપાસ કરી હતી. તેમણે બ્લડ પ્રેશર અને બ્લડ શુગર લેવલની ચકાસણી કરીને આરોગ્ય અંગે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ઇન્ડિયન રેયોન જનસેવા ટ્રસ્ટના ચેરમેન શશાંક પારેખના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. ડેપો મેનેજર દિલીપ શામળા અને વેરાવળ એસ.ટી. ડેપોના સ્ટાફના સહકારથી આયોજન સુવ્યવસ્થિત અને સફળ રીતે પૂર્ણ થયું હતું. કર્મચારીઓએ જણાવ્યું હતું કે, આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો તેમના સ્વાસ્થ્યની કાળજી લેવા ઉપરાંત માર્ગ સલામતી માટે પણ મહત્વપૂર્ણ સાબિત થાય છે. ડેપો ખાતે યોજાયેલા આ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પથી કર્મચારીઓમાં સંતોષનો માહોલ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:27 pm

મહીસાગરના ભાદરોડ પાસે કાર ઝાડ સાથે ટકરાઈ:મોડાસાથી સંતરામપુર જઈ રહેલા બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભાદરોડ ગામ પાસે લીંબડીયા-ખાનપુર હાઇવે પર એક કાર ઝાડ સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ પરિવાર મોડાસાથી સંતરામપુર તરફ લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે ભાદરોડ ગામ નજીક આ ઘટના બની હતી. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની વ્યવસ્થા કરી હતી. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે હજુ જાણી શકાયું નથી. જોકે, સ્થાનિકોના મતે આ સ્થળ અવારનવાર અકસ્માતોનો ભોગ બનતું હોવાથી તેને 'અકસ્માત ઝોન' તરીકે ઓળખવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:26 pm

સુરત: 108ની ટીમે પરત કર્યા લાખોના દાગીના:બરબોધન અકસ્માતના ઇજાગ્રસ્તના 5 લાખના દાગીના અને રોકડ પરિવારને સોંપાયાં

સુરતના રાંદેર વિસ્તારમાં 108ઇમરજન્સી સેવાની ટીમે માનવતા અને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અકસ્માતનો ભોગ બનેલા એક ગંભીર યુવાનના લાખો રૂપિયાના દાગીના અને રોકડ પરત કરી 108ના કર્મચારીઓએ સમાજમાં એક નવી મિસાલ કાયમ કરી છે. ઘટનાની વિગત અને તાત્કાલિક સારવાર ગઈકાલે મોડી રાત્રે રાંદેર પાસેના બરબોધન ગામે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્યાં 36 વર્ષીય શશાંકભાઈ ઠાકોરભાઈ પટેલ ગંભીર હાલતમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. પરિવારની ગેરહાજરીમાં EMT શબ્બીર બેલીમ અને પાયલોટ સુનિલ ભાભોરે સમયસૂચકતા વાપરી ઇજાગ્રસ્તના ફોનથી તેમના પરિવારનો સંપર્ક કર્યો અને તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. 5લાખના દાગીના અને રોકડ પરત કર્યા સારવાર દરમિયાન કર્મચારીઓને ઇજાગ્રસ્ત પાસેથી સોનાની ચેઈન અને વીંટી મળી આવી હતી, જેની અંદાજિત કિંમત 5,00,000 રૂપિયા જેટલી થાય છે. આ ઉપરાંત 4,200 રૂપિયા રોકડા અને મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. સોનાના વધતા ભાવ વચ્ચે પણ આ ટીમે સહેજ પણ લાલચ રાખ્યા વગર તમામ ચીજવસ્તુઓ ઇજાગ્રસ્તના બહેન કંચનબેનને સહીસલામત સોંપી દીધી હતી. 108ની આ નિષ્ઠા જોઈ પરિવારજનોએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:20 pm

ગણપત વસાવાનો શામળાજીમાં સત્કાર સમારંભ યોજાયો:આદિજાતિ મોરચાના અધ્યક્ષ તરીકે નિમણૂક બાદ ત્રણ મંત્રીઓ ઉપસ્થિત

ગુજરાત પ્રદેશ ભાજપના આદિજાતિ મોરચાના અધ્યક્ષ તરીકે ગણપત વસાવાની નિમણૂક થયા બાદ અરવલ્લીના શામળાજી ખાતે તેમનો સત્કાર સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે ત્રણ મંત્રીઓ હાજર રહ્યા હતા. યાત્રાધામ શામળાજીમાં યોજાયેલા આ સત્કાર સમારંભમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ, મંત્રી પી.સી. બરંડા, મંત્રી રમેશ કટારા અને સાંસદ શોભનાબેન બારૈયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ શરૂ થતા પહેલા પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાએ શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાના દર્શન કર્યા હતા. ત્યારબાદ જિલ્લાના કાર્યકરો દ્વારા બાઈક રેલી યોજી તેમને કાર્યક્રમ સ્થળ સુધી લાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:20 pm

નવસારીમાં ગટર કામગીરી દરમિયાન ગેસ લાઈન તૂટી:500થી વધુ ઘરોનો પુરવઠો ખોરવાયો, દુર્ગંધથી સમગ્ર વિસ્તારમાં ભય

નવસારી શહેરના ટેકનિકલ સ્કૂલ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન મુખ્ય ગેસ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. આ ઘટનાને કારણે મોટા પાયે ગેસ લીકેજ થયું અને સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી, જેનાથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સાવચેતીના ભાગરૂપે, ફાયર ફાઈટરો દ્વારા વિસ્તારમાં પાણીનો મારો ચલાવી ગેસનું દબાણ ઘટાડવાનો પ્રયાસ કરાયો હતો. ગેસ કંપનીના અધિકારીઓને જાણ કરીને મુખ્ય લાઈનનો પુરવઠો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો. ગેસ લાઈનમાં ભંગાણને કારણે ટેકનિકલ સ્કૂલ અને આસપાસના વિસ્તારના અંદાજિત 500થી વધુ રહેણાંક મકાનોમાં ગેસ કનેક્શન બંધ થઈ ગયા છે. બપોરના સમયે ગેસ પુરવઠો ઠપ્પ થતાં અનેક ઘરોમાં રસોઈ બનાવવામાં મુશ્કેલી પડી હતી. તંત્ર દ્વારા સુરક્ષાના કારણોસર અસરગ્રસ્ત વિસ્તારને કોર્ડન કરી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. હાલ ગેસ કંપની અને પાલિકાના એન્જિનિયરો દ્વારા ગેસ લાઈનના સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મોડી સાંજ સુધીમાં ગેસ પુરવઠો પુનઃ કાર્યરત થાય તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:18 pm

ભરૂચમાં મતદાર યાદી સુધારણામાં ગેરરીતિના આક્ષેપ:મુસ્લિમ સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

ભરૂચના કંથારીયા, ઉમરાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR)માં ગેરરીતિના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, કેટલાક અસામાજિક તત્વો દ્વારા રાજકીય કિન્નાખોરીના હેતુસર મોટા પાયે મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર-7 ઓનલાઈન અને ઓફલાઈન ભરવામાં આવ્યા હોવાની શંકા છે. સમાજ દ્વારા આ પ્રવૃત્તિને લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો વિરુદ્ધનું ગંભીર ષડયંત્ર ગણાવવામાં આવ્યું છે. ગામના સ્થાનિક રહીશો અને ગ્રામ પંચાયત દ્વારા આ મામલે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે, જો બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા ખોટી માહિતી કે દબાણ હેઠળ કોઈ કાર્યવાહી કરવામાં આવશે, તો સાચા મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી થવાની શક્યતા છે. આથી, મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે BLO અને સુપરવાઈઝરને ગ્રામ પંચાયતની હાજરી અને જાણ સાથે જ તપાસ કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવે. વધુમાં, જો પંચાયતની જાણ બહાર કોઈ સાચા મતદારનું નામ કમી કરવામાં આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:17 pm

મનપા તંત્રની ઘોર બેદરકારી:રાજકોટના ઘંટેશ્વરમાં નવી કોર્ટની સામે આવેલા પાણીના ટાંકાનો વાલ્વ બગડયો, હજારો લિટર પીવાનું શુદ્ધ પાણી રસ્તા પર વહી ગયુ

રાજકોટનાં ઘંટેશ્વર વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. નવી કોર્ટની સામે આવેલા પાણીના ટાંકાનો વાલ્વ બગડી જવાથી હજારો લિટર પીવાનું શુદ્ધ પાણી રસ્તાઓ પર વહી ગયું હતું. સ્થાનિકો દ્વારા આ અંગે રાત્રે જ મનપાના અધિકારીઓને જાણ કરવામાં આવી હોવા છતાં, કલાકો વીતી જવા છતાં કોઈ રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી નહોતી. જેના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જતા તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે સમગ્ર મામલે મનપાનાં અધિકારીએ સંપ છલકાયો હોવાનો બચાવ કર્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક તરફ પાણી બચાવવાના સંદેશા આપવામાં આવે છે, જ્યારે બીજી તરફ તંત્રની આળસને કારણે હજારો લિટર પાણી ગટરોમાં વહી ગયું હતું. શહેરના ઘંટેશ્વર વિસ્તારમાં નવી કોર્ટની સામે પાણીનો ટાંકો આવેલો છે. આ ટાંકાનો વાલ્વ લાંબા સમયથી ખરાબ હોવાનું જણાઈ રહ્યું છે. ગઈકાલ રાત્રિથી વાલ્વમાં ખામી સર્જાતા ટાંકામાંથી પાણી સતત કલાકો સુધી વહી ગયું હતું. જેને લઈને આસપાસના રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તંત્રની લાપરવાહીને અંફે નજીકમાં આવેલા રેસ્ટોરન્ટના માલિકે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, આ સમસ્યા કોઈ નવી નથી. અહીં વારંવાર વાલ્વ બગડવાના કારણે પાણીનો બગાડ થાય છે. રસ્તાઓ પર પાણી ભરાઈ રહેવાથી વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અધિકારીઓને રાત્રે જ આ બાબતે ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી, પરંતુ 'ઠંડી' ના બહાને કે પછી અન્ય કોઈ કારણોસર તંત્રના પેટનું પાણી હલ્યું નથી. સવાર સુધી કોઈ પણ ટેકનિકલ ટીમ સ્થળ પર પહોંચી ન હતી. ઘટના અંગે રાજકોટ મનપાના વોટર વર્ક્સ વિભાગના ઈજનેર કે. પી. દેથરીયાએ દિવ્યભાસ્કર સાથે કરેલી ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ત્યાં વાલ્વની સમસ્યા નહોતી, સંપ છલકાઈ જવાની ઘટના બની છે. આજે બેડી ફિલ્ટર પ્લાન્ટનું શટડાઉન હતું. સામાન્ય રીતે રૈયાધારથી પાણી મેળવીને ત્યાં ટેન્કર ભરવાની કામગીરી થતી હોય છે. પરંતુ શટડાઉનને લઈ મિસ-કોમ્યુનિકેશન થયું અને સંપ ઓવરફ્લો થયો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જવાબદાર કર્મચારીઓને કડક સૂચના આપી દેવામાં આવી છે કે ભવિષ્યમાં આવી ભૂલ ન થાય. જોકે, તેમણે આ સમસ્યા કાયમી હોવાની વાતને નકારી કાઢી હતી. પાણીના વેડફાટનો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પાણી કઈ હદે વેડફાઈ રહ્યું છે. એક બાજુ ઉનાળો નજીક આવી રહ્યો છે અને પાણીના ટીપે ટીપાની કિંમત સમજાવામાં આવે છે, ત્યારે સરકારી મિલકતમાંથી જ આ પ્રકારે બગાડ થવો તે ગંભીર બાબત છે. શું અધિકારીઓ માત્ર એસી ઓફિસમાં બેસીને જ ઓર્ડર આપશે? રાત્રે જાણ કર્યા પછી પણ સવાર સુધી પાણી વહેતું રહેવું તે તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે આટલા મોટા પાયે પાણીનો બગાડ કરનાર જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં લેવામાં આવશે? જોકે તંત્ર દ્વારા અધિકારીઓને કડક સૂચના જ આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:10 pm

ગોધરામાં મેસરી નદીનો કોઝવે જોખમી બન્યો:ચોમાસામાં રેલિંગ તૂટ્યા બાદ તંત્રની બેદરકારી

ગોધરા શહેરને જોડતા મેસરી નદી પરનો કોઝવે છેલ્લા ચોમાસામાં ભારે વરસાદને કારણે વ્યાપક નુકસાન પામ્યો છે. નદીના ધસમસતા પ્રવાહને લીધે કોઝવેની બંને તરફની સુરક્ષા રેલિંગ અને બેરિકેડ તૂટી ગયા છે, જેના કારણે હાલમાં અહીંથી પસાર થવું વાહનચાલકો માટે અત્યંત જોખમી બન્યું છે. આ કોઝવે ગોધરા શહેરને સરકારી ઇજનેરી કોલેજ અને અનેક સોસાયટીઓ સાથે જોડે છે. દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાહનચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે. બેરિકેડના અભાવે રાત્રિના સમયે અકસ્માત થવાનો ભય રહેલો છે, અને વાહનચાલકો નદીમાં ખાબકવાનો સતત ડર અનુભવી રહ્યા છે. ચોમાસું પૂરું થયાને મહિનાઓ વીતી ગયા હોવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી રેલિંગ કે બેરિકેડનું સમારકામ કરવામાં આવ્યું નથી. કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં તંત્ર જાગૃત થાય અને આ કામગીરી તાત્કાલિક અસરથી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:09 pm

50 વર્ષ પૂર્ણ કરી ઇન્ડિયન કોસ્ટગાર્ડનો સ્વર્ણિમ વર્ષમાં પ્રવેશ:180 જહાજો અને 90 વિમાનો સાથે વિશ્વનું ચોથું સૌથી મોટું તટરક્ષક દળ, 11,098 કિમી દરિયાઈ સરહદનું અભેદ્ય કવચ

ભારતીય કોસ્ટગાર્ડ (ICG) આજે તેની સ્થાપનાના 50 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને સુવર્ણ જયંતિ વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. 1 ફેબ્રુઆરી 1977ના રોજ માત્ર 7 જહાજોના નાના કાફલા સાથે શરૂ થયેલું આ દળ આજે ભારતની 11,098 કિમી લાંબી દરિયાઈ સરહદનું અભેદ્ય કવચ બની ગયું છે. 'વયમ રક્ષામસ્' (અમે રક્ષણ કરીએ છીએ)ના ધ્યેયમંત્ર સાથે કાર્યરત આ દળ આજે 180થી વધુ જહાજો અને 90થી વધુ વિમાનો સાથે વિશ્વનું ચોથું સૌથી મોટું તટરક્ષક દળ છે. સુરક્ષા અને બચાવ કામગીરીના અભૂતપૂર્વ આંકડા પાંચ દાયકાની આ સફરમાં કોસ્ટગાર્ડે અનેક સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે: ઓપરેશન્સ: અત્યાર સુધીમાં 8,700થી વધુ દરિયાઈ અને વાયુ અભિયાનો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા. જીવન રક્ષા: દરિયામાં ફસાયેલા 12,500થી વધુ લોકોના જીવ બચાવ્યા છે. આંકડાકીય રીતે જોઈએ તો, કોસ્ટગાર્ડ સરેરાશ દર બીજા દિવસે એક વ્યક્તિનો જીવ બચાવે છે. આપત્તિ વ્યવસ્થાપન: વાવાઝોડાં અને સુનામી જેવી કુદરતી આફતો દરમિયાન 14,000થી વધુ લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. દાણચોરી અને આતંકવાદ સામે લાલ આંખદેશની આંતરિક સુરક્ષા મજબૂત કરવામાં કોસ્ટગાર્ડની ભૂમિકા નિર્ણાયક રહી છે. નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે કરવામાં આવેલી કડક કાર્યવાહીમાં અત્યાર સુધીમાં અંદાજે 55,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશતી 1,600થી વધુ વિદેશી ફિશિંગ બોટ અને ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે. ગુજરાતનો દરિયાકાંઠો અને વ્યૂહાત્મક મહત્વભારતનો પશ્ચિમ કિનારો, ખાસ કરીને ગુજરાતનો દરિયાકાંઠો પાકિસ્તાન સરહદની નિકટતાને કારણે અત્યંત સંવેદનશીલ છે. અહીં દરિયાઈ ઘૂસણખોરી અને દાણચોરી રોકવા માટે કોસ્ટગાર્ડ 24x7 સઘન મોનિટરિંગ કરે છે. અંડમાન-નિકોબાર અને લક્ષદ્વીપ જેવા વ્યૂહાત્મક વિસ્તારોમાં પણ આ દળ સતત સજાગ રહે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું ગૌરવકોસ્ટગાર્ડે માત્ર દેશની સુરક્ષા જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે. શ્રીલંકાના કિનારે 3 લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ ભરેલા 'ન્યૂ ડાયમંડ' જહાજની આગ બુઝાવીને કોસ્ટગાર્ડે મોટી પર્યાવરણીય હોનારત ટાળી હતી, જે વૈશ્વિક સ્તરે નોંધપાત્ર ઘટના બની હતી. ભવિષ્યની ટેકનોલોજી અને આધુનિકીકરણસુવર્ણ જયંતિ વર્ષમાં પ્રવેશતાની સાથે જ ભારતીય કોસ્ટગાર્ડ હવે વધુ આધુનિક બની રહ્યું છે. આગામી સમયમાં AI આધારિત મોનિટરિંગ સિસ્ટમનો અમલ. આધુનિક ડ્રોન અને સેટેલાઈટ સર્વેલન્સ. અદ્યતન રડાર નેટવર્ક દ્વારા દરિયાઈ સીમાઓનું રક્ષણ. સેવા, સુરક્ષા અને સમર્પણના 50 વર્ષ પૂર્ણ થતા આજે સમગ્ર દેશ આ સાહસી જવાનોના ત્યાગ અને શૌર્યને સલામ કરી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:07 pm

અરવલ્લીમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનું સમાપન:મોડાસામાં પ્રાંત અધિકારી અને RTOની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો

વધતા જતા માર્ગ અકસ્માતોને રોકવા માટે, અરવલ્લી RTO દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો સમાપન કાર્યક્રમ મોડાસામાં યોજાયો. આ કાર્યક્રમ તત્વ ફાઉન્ડેશનના હોલમાં મોડાસાના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સંપન્ન થયો હતો. સમાપન સમારોહમાં RTO જે. કે. પ્રજાપતિ, RTO કચેરીના તમામ ઇન્સ્પેક્ટરો, તત્વ ફાઉન્ડેશનના ચેરમેન જયદત્તસિંહ પુવાર તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી થઈ, જેમાં ઇન્સ્પેક્ટર કેવી હાડાએ ઉપસ્થિત મહેમાનોનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે RTO જે. કે. પ્રજાપતિએ નગરજનોને માર્ગ સલામતી વિશે વિસ્તૃત માહિતી આપી. તેમણે આખા મહિના દરમિયાન RTO કચેરી અને પોલીસ દ્વારા માર્ગ સલામતી માટે કરાયેલા વિવિધ કાર્યક્રમોની જાણકારી આપી. જેમાં વિવિધ સંસ્થાઓમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન અને વાહન ચાલકોને સુરક્ષિત ડ્રાઇવિંગ અંગેની માહિતીનો સમાવેશ થાય છે. જરૂર પડ્યે વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન, એસ.ટી. વિભાગના એવા ડ્રાઇવરોનું સન્માન કરવામાં આવ્યું જેમણે પોતાની ફરજ દરમિયાન એક પણ અકસ્માત કર્યો ન હતો. આ ઉપરાંત, 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ સન્માનિત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:06 pm

વિઝા ફ્રોડ કરી દુબઈ ભાગેલો ઠગ ઝડપાયો:મુંબઈ એરપોર્ટ પરથી પકડાયો, LOC જાહેર કરાયો હતો

આણંદ: વિઝા ફ્રોડ આચરી દુબઈ ભાગી ગયેલા વિદ્યાનગરના ધ્રુવેશ સંજયભાઈ દરજીને મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો છે. તેની સામે લુક આઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરાયો હતો, જેના આધારે તે દુબઈથી પરત ફરતા જ પોલીસના હાથે ઝડપાઈ ગયો. ધ્રુવેશ દરજી વિદ્યાનગરના મોટા બજાર વિસ્તારનો રહેવાસી છે. તેણે વિદેશ જવાના સપના જોતા અનેક નાગરિકો સાથે વિઝા ફ્રોડ દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. છેતરપિંડી કર્યા બાદ તે વિદેશ પલાયન થઈ ગયો હતો. આણંદ પોલીસે આવા તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ધ્રુવેશ દરજી વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ તેની ધરપકડ માટે લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો હતો. આ સર્ક્યુલરને કારણે, તે દુબઈથી ભારત પરત ફરતાની સાથે જ મુંબઈ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા પકડી પાડવામાં આવ્યો અને પોલીસને સોંપવામાં આવ્યો. વિદ્યાનગર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જિલ્લાના અન્ય નાગરિકોને પણ અપીલ કરી છે કે જો તેઓ આ ઠગાઈનો ભોગ બન્યા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે, જેથી અન્ય ભોગ બનેલા લોકોને પણ ન્યાય મળી શકે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 6:02 pm

યુવક વિકાસ ટ્રસ્ટ દ્વારા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન:અમદાવાદની પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજના વિદ્યાર્થીએ વકતૃત્વ સ્પર્ધામાં તૃતિય સ્થાન મેળવ્યું

યુવક વિકાસ ટ્રસ્ટ દ્વારા 30 જાન્યુઆરી, 2026ના રોજ ગાંધી નિર્વાણ દિને આયોજિત વક્તૃત્વ સ્પર્ધામાં આશ્રમ રોડ પર આવેલ નવગુજરાત કેમ્પસ સ્થિત પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજના વિદ્યાર્થી હર્ષરાજ રાઠોડએ તૃતીય પુરસ્કાર મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું. આ સ્પર્ધામાં અમદાવાદની વિવિધ કોલેજોમાંથી કુલ 45 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાનો વિષય હતો 'સત્યાગ્રહથી સોશિયલ મીડિયા સુધી: અન્યાય સામે પ્રતિરોધના બદલાતા સ્વરૂપ'. જે ગાંધીજીના વિચારોને આધુનિક સંદર્ભ સાથે જોડતો વિચારપ્રેરક વિષય હતો. હર્ષરાજ રાઠોડે પોતાના વક્તવ્યમાં સત્યાગ્રહના મૂલ્યો અને આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાની ભૂમિકા વચ્ચે સુંદર તુલના રજૂ કરી, જેના કારણે જજીસ તથા શ્રોતાઓ પર ઊંડો પ્રભાવ પડ્યો. હર્ષરાજ સોલંકીને પ્રમાણપત્ર તથા રોકડ ઇનામ આપવામાં આવી સન્માનિત કરવામાં આવ્યો. આ સિદ્ધિ બદલ કોલેજના પ્રિન્સિપાલ, અધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ હર્ષરાજને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:58 pm

પોરબંદરમાં બે દિવસીય પક્ષી ગણતરીનો પ્રારંભ:4 રાજ્યોના પક્ષીવિદોની 25 ટીમો જોડાઈ, ઈકો-ટુરિઝમ પર ભાર

પોરબંદરમાં બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત (BCSG) દ્વારા બે દિવસીય પક્ષી ગણતરીનો પ્રારંભ થયો છે. 'પક્ષીનગર' તરીકે ઓળખાતું પોરબંદર તેની કુદરતી સંપદા માટે જાણીતું છે. શિયાળાની ઠંડીમાં હજારો વિદેશી યાયાવર પક્ષીઓ પોરબંદરના મહેમાન બન્યા છે, ત્યારે આ ગણતરી પર્યાવરણ અને પ્રવાસન માટે મહત્વપૂર્ણ છે. 'પોરબંદર વિઝન 2047' અંતર્ગત ઈકો-ટુરિઝમને વિશેષ પ્રાધાન્ય અપાયું છે, જે પ્રવાસન ક્ષેત્રે નવા દ્વાર ખોલશે. આ પર્યાવરણ શિક્ષણ માટે પણ ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ ગણતરીમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કેરળ અને રાજસ્થાનના નામાંકિત પક્ષીવિદો જોડાયા છે. કુલ 25 ટીમો દ્વારા આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ સવાર અને સાંજ એમ બંને સમયે સચોટ ગણતરી કરવામાં આવશે. પોરબંદરમાં દરિયા કિનારો અને મીઠા પાણીના સરોવરો (જેમ કે મોકરસાગર, કુછડી, છાયા રણ, બરડા સાગર) નજીક હોવાથી અહીં પક્ષીઓની અનેક દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:56 pm

વધુ એક એક્ટિવા ચાલક બ્રિજ પરથી પટકાયો:12 વર્ષની દીકરીની છેડતી કરતા માતા બની રણચંડી, કેશોદમાં કૂવામાંથી માનવ કંકાલ સાથે 15 તોલા સોના મળ્યું, પિતાએ લજવ્યા સંબંધો

PSI ભરતીમાં 8679 ઉમેદવાર ક્વોલિફાઇડ થયા PSI ભરતીમાં 8679 ઉમેદવાર ક્વોલિફાઇડ થયા..1023 ઉમેદવારને 5 ફેબ્રુઆરીથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાશે તો 2 તારીખથી કોલલેટર ડાઉનલોડ થશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એક્ટિવાને ટક્કર મારતા યુવક બ્રીજ પરથી નીચે પડ્યો અમદાવાદના બલોલનગર બ્રિજ પર શુક્રવારે મોડી રાત્રે એક્ટિવા પર જતા પતિપત્નીને કારચાલકે ટક્કર મારી. જેમાં એક્ટિવા ચાલક યુવક બ્રિજ પરથી નીચે પડતા તેનું મોત થયું છે,જ્યારે પત્ની ઈજાગ્રસ્ત છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ત્રણ મહિના પહેલા કૂતરું કરડતા યુવકને હડકવા પાલનપુરમાં યુવક કુતરાની જેમ લોકોને કરડવા દોડે છે અને તેની જેમ જ ભસે છે. યુવકને ત્રણ મહિના પહેલા કૂતરું કરડ્યું હતું, જે બાદ તેને હડકવા ઉપડ્યો છે. હોસ્પિટલમાં પણ યુવક તોફાન કરતા તેને બેડ સાથે બાંધી દેવાયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઘર છીનવાઈ જવાના ડરથી સ્થાનિકોનો આક્રોશ રાજકોટના જંગલેશ્વરમાં મોટા પાયે થનારા ડિમોલીશનને લઈને સ્થાનિકો રડી પડ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો છારી-ઢંઢ અભ્યારણ્ય પણ રામસર સાઈટ્સમાં સામેલ કચ્છનું છારી-ઢંઢ અભ્યારણ્ય રામસર સાઈટ્સ જાહેર કરાયું. સ્વિટ્ઝર્લેન્ડથી આ અંગે જાહેરાત કરાઈ.. નળ સરોવર સહિત હવે રાજ્યના પાંચ અભયારણ્યો રામસર સાઈટ્સમાં સામેલ થયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરતની ભ્રષ્ટ 'જયંતી સુપર' બનાવી રહી છે બે ટાંકીઓ સુરતમાં ટેસ્ટિંગ દરમિયાન જ ધરાશાયી થયેલી પાણીની ટાંકી બનાવનાર કંપની જયંતિ સુપર મહેસાણામાં પણ બનાવી રહી છે પાણીની ટાંકીઓ. આ ટાંકીઓમાં અત્યારથી જ લીકેજની ફરિયાદો ઉઠી છે. જો કે અધિકારીઓ આને ક્ષારનું નામ આપી રહ્યા છે. તો જયંતિ સુપરને કઈ રીતે આ કોન્ટ્રાક્ટ મળ્યો તેને લઈને પણ સવાલ ઉઠ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માતાએ દીકરીની છેડતી કરનાર યુવકની રોમિયોગીરી ઉતારી સુરતના ઉધના વિસ્તારમાં મહિલાએ 12 વર્ષની દીકરીની છેડતી કરનાર યુવકની રોમિયોગીરી ઉતારી.કોલર પકડી ઉપરાછાપરી તમાચા ઝીંક્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કળિયુગના કપાતરે પૈસા માટે માતાની હત્યા કરી અમદાવાદના મકરબામાં મોડીરાત્રે એક દીકરાએ તેની માતાની હત્યા કરી.. દીકરાએ ઘરના બદલામાં પૈસા માગ્યા હતા, જેની ના પાડતા દીકરાએ માતાના માથામાં દંડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચાર વર્ષથી દીકરી પર પિતા ગુજારતા હતા દુષ્કર્મ રાજકોટના ઉપલેટામાં દિવ્યાંગ પિતાએ તેની સગી દીકરી પર સતત 4 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું.. પત્ની કેન્સરગ્રસ્ત થતા દીકરી પર દાનત બગાડી.. પોલીસે નરાધમ પિતાની અટકાયત કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કૂવામાંથી માનવ કંકાલ અને 15 તોલાના દાગીના મળતા ચકચાર જૂનાગઢના કેશોદના ખમીદાણા ગામના કૂવામાંથી મળ્યુ માનવ કંકાલ અને 15 તોલા સોનાના દાગીના. .આ કંકાલ અને દાગીના 6 મહિના પહેલા ગુમ થયેલા વૃદ્ધાનું હોવાનુ માનીને પોલીસે તપાસ હાથ ધરી છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:56 pm

CISF 'વંદે માતરમ' સાયકલોથોન રેલી જોડિયા પહોંચી:3500 કિ.મી.ની યાત્રા દ્વારા તટીય સુરક્ષાનો સંદેશ ફેલાવાઈ રહ્યો છે

સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા આયોજિત 'વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન રેલી' જામનગર જિલ્લાના જોડિયા ખાતે આવી પહોંચી હતી. આ રેલીમાં 65 યુવાનો કચ્છના લખપતથી કેરળના કોચીન સુધીની 3500 કિલોમીટરની યાત્રા દ્વારા તટીય સુરક્ષા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ ફેલાવી રહ્યા છે. જોડિયા ખાતે આ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જોડિયા ખાતે આયોજિત સ્વાગત કાર્યક્રમમાં જોડિયા હુન્નર શાળાની બાળાઓ અને CISFના જવાનો દ્વારા લાઠી પ્રદર્શન, યોગ અને માનવ પિરામિડ જેવા શૌર્યપૂર્ણ નિદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. આ અંગે માહિતી આપતા CISFના ડેપ્યુટી કમાન્ડન્ટ સંદીપ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, આ રેલી માત્ર પ્રવાસ નથી, પરંતુ માર્ગમાં આવતા તટીય ગામોની મુલાકાત લઈ તેમની સમસ્યાઓ સમજવાનો અને સંસ્કૃતિના આદાન-પ્રદાનનો એક સેતુ છે. આ પ્રવાસ દરમિયાન ખાસ કરીને દરિયાઈ સુરક્ષા અંગે સ્થાનિક લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ સંસ્થાનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીઓ પાર્થભાઈ સુખપરિયા, પુનિતભાઈ શેઠ અને અશોકભાઈ વર્માએ પણ હાજર રહી સાયકલિસ્ટોનો ઉત્સાહ વધાર્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:53 pm

શોરૂમ જેવા પોલીસે 48 કલાકમાં ડિટેઈન કરેલા 75 બુલેટના થપ્પા:પોરબંદરમાં મોડિફાઈડ સાયલેન્સર ધરાવતા બુલેટધારકો સામે કડક ઝુંબેશ, હજુ અઠવાડિયું ટ્રાફિક પોલીસ ડ્રાઈવ ચલાવશે

પોરબંદર શહેરમાં શાંતિ ભંગ કરતા અને કર્કશ અવાજ કરતા મોડિફાઈડ સાયલેન્સર ધરાવતા બુલેટ ચાલકો વિરુદ્ધ પોલીસે કડક ઝુંબેશ શરૂ કરી છે. છેલ્લા 48 કલાકમાં ટ્રાફિક પોલીસે કુલ 75 બુલેટ બાઈક ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સ્પેશિયલ ડ્રાઈવ આગામી એક સપ્તાહ સુધી સતત ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બે દિવસમાં પોલીસની સપાટોજિલ્લા પોલીસ અધિક્ષક બી. યુ. જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાની સૂચનાથી ટ્રાફિક શાખા દ્વારા આ ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસની આ કાર્યવાહીમાં પ્રથમ દિવસે 37 બુલેટ બાઈક જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે બીજો દિવસે 38 બુલેટ બાઈક જપ્ત કરવામાં આવ્યા છે.આમાં માત્ર બે દિવસમાં જ 75 વાહનો સામે કડક પગલાં લેવાયા છે. એમ.વી. એક્ટ હેઠળ કાર્યવાહીટ્રાફિક પી.આઈ. એમ.એલ. આહિરના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. કે.બી. ચૌહાણ, કે.એન. અઘેરા અને ટ્રાફિક ટીમે શહેરના મુખ્ય માર્ગો અને પોઈન્ટ્સ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. મોડિફાઈડ સાયલેન્સર લગાવી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ચાલકો સામે એમ.વી. એક્ટની કલમ-207 હેઠળ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે. પોલીસની કડક ચેતવણીપોલીસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, આગામી દિવસોમાં પણ જો કોઈ બાઈકમાં નિયમ વિરુદ્ધના સાયલેન્સર મળી આવશે, તો તે સ્થળ પર જ કાઢીને કબજે કરવામાં આવશે. પોલીસે વાહન ચાલકોને સ્વૈચ્છિક રીતે મોડિફાઈડ સાયલેન્સર હટાવી લેવા અનુરોધ કર્યો છે. આગામી 5થી 7 દિવસ સુધી આ ઝુંબેશને વધુ વેગવંતી બનાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:49 pm

મોરબીની કરશન ઘાવરી એકેડમીએ શ્રેણી જીતી:આણંદમાં યોજાયેલી અંડર-19 વન ડે શ્રેણીમાં 2-1થી વિજય

આણંદ શહેર સ્થિત એલિકોન ક્રિકેટ એકેડેમીમાં યોજાયેલી ત્રણ મેચની અંડર-19 વન ડે શ્રેણીમાં મોરબીની કરશન ઘાવરી ક્રિકેટ એકેડેમીએ 2-1થી વિજય મેળવ્યો છે. આ શ્રેણી એલિકોન ક્રિકેટ એકેડેમી અને કરશન ઘાવરી ક્રિકેટ એકેડેમી, મોરબીની અંડર-19 ટીમો વચ્ચે રમાઈ હતી. 30મી ડિસેમ્બરના રોજ રમાયેલી ફાઇનલ મેચના અંતે, મોરબીની ટીમે બે મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરી હતી. શ્રેણી દરમિયાન બંને ટીમોના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચમાં તેમના ખાસ પ્રદર્શન બદલ કેટલાક ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. અર્જુનસિંહ જેતવાને 'બોલર ઓફ ધ મેચ', સૌર્યરાજ સોલંકીને 'બેટર ઓફ ધ મેચ' અને સર્વાંગી રમત બદલ રાધે ભીમાણીને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:42 pm

આણંદ SPએ નિવૃત્ત ASIને પોતાની ખુરશી પર બેસાડ્યા:33 વર્ષની નિષ્ઠાવાન સેવા બદલ મહંમદ યુસુફને અનોખું સન્માન

આણંદ જિલ્લા એલઆઈબીમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. મહંમદયુસુફ શેખને તેમની વયમર્યાદાને કારણે નિવૃત્તિ સમયે પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી દ્વારા અનોખું સન્માન આપવામાં આવ્યું હતું. એસ.પી. જસાણીએ મહંમદયુસુફ શેખને પોતાની ખુરશી પર બેસાડીને આ સન્માન કર્યું હતું. મૂળ કપડવંજના મહંમદયુસુફ શેખે આણંદ જિલ્લા એલઆઈબીમાં 33 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપી છે. તેમની વિદાય નિમિત્તે એલઆઈબી કચેરી ખાતે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ તેમને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. ત્યારબાદ, એસ.પી. જસાણી તેમને પોતાની ચેમ્બરમાં લઈ ગયા અને પોતાની ખુરશી પર બેસાડીને વિશેષ સન્માન આપ્યું. આણંદ એસ.પી. કચેરીના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના હતી, જ્યાં એક પોલીસ અધિક્ષકે નાના કર્મચારીની નિષ્ઠાને બિરદાવવા માટે તેમને પોતાની ખુરશી પર બેસાડી સન્માનિત કર્યા. આ પહેલને પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ પણ બિરદાવી હતી. આ પ્રસંગે પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ જણાવ્યું હતું કે, મહંમદ યુસુફ શેખે પરિવાર કરતાં પણ ફરજ પ્રત્યે વધુ નિષ્ઠા દાખવીને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેની ખોટ કચેરીને વર્તાશે. તેમણે ઉમેર્યું હતું કે જો દરેક કર્મચારી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે તો તંત્ર વધુ ઝડપી અને સરળ બનશે. તેમણે અન્ય કર્મચારીઓને મહંમદયુસુફ જેવા નિવૃત્ત થતા કર્મચારીઓ પાસેથી પ્રેરણા લેવા પણ અનુરોધ કર્યો હતો. આ વિદાય સમારોહમાં નિવૃત્ત ડીવાયએસપી દિલીપ ત્રિવેદી, પી.આઈ. આર.એસ. સેંધવ સહિત અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ મહંમદયુસુફ શેખ સાથેના તેમના સંસ્મરણો રજૂ કર્યા હતા. આણંદ ડિવિઝનના ડીવાયએસપી જે.એન. પંચાલ, પેટલાદ ડિવિઝનના ડીવાયએસપી એચ.બી. વાઘેલા, એલસીબી પી.આઈ. એચ.આર. બ્રહ્મભટ્ટ અને સીઆઈડી ક્રાઈમના પી.આઈ. આર.ડી. ડાભી સહિતના અધિકારીઓએ પણ નિવૃત્ત થતા એ.એસ.આઈ. મહંમદયુસુફનું સન્માન કર્યું હતું. નિવૃત્ત થતા એ.એસ.આઈ. મહંમદયુસુફ શેખે જણાવ્યું હતું કે ઉપરી અધિકારીઓએ તેમનામાં વિશ્વાસ મૂક્યો હતો, જેના કારણે તેઓ એલઆઈબીમાં 33 વર્ષ સુધી એક જ ટેબલ પર ફરજ બજાવી શક્યા. તેમણે તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાની ફરજને પરિવાર કરતાં પણ વધુ પ્રાધાન્ય આપ્યું હોવાનું જણાવ્યું હતું. મહંમદયુસુફ શેખે કહ્યું કે તેઓ ક્યારેય તેમના સંતાનોની શાળા કે કોલેજમાં ગયા નથી, અને ઘણીવાર પરિવારને રસ્તામાં છોડીને કચેરીમાં દોડવું પડતું હતું. તેમણે પોતાની પત્નીનો આભાર માન્યો હતો, જેમણે બાળકોનો ઉછેર કર્યો અને તેમને ફરજ બજાવવા માટે પ્રોત્સાહિત કર્યા. આ કારણે જ તેઓ આજે સંતોષકારક રીતે નિવૃત્ત થઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:39 pm

GPSC દ્વારા 23 સંવર્ગની 279 ખાલી જગ્યા પર ભરતી:આજથી 16 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશો, 26 એપ્રિલે પ્રિલીમ પરીક્ષા

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યના વિવિધ વિભાગોમાં વર્ગ-1 અને વર્ગ-2ની કુલ 23 સંવર્ગની 279 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ અંગે GPSCના સેક્રેટરી સુધીર પટેલે માહિતી આપી હતી. 16 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશોGPSC દ્વારા પાંચ વિભાગો, સ્પોર્ટ્સ ઓથોરિટી, 9 મહાનગરપાલિકાઓ, તેમજ પાણી પુરવઠા, રમતગમત અને સાંસ્કૃતિક વિભાગની જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપવામાં આવી છે. ઉમેદવારો આજ બપોરથી ઓનલાઇન અરજી કરી શકશે, અને અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી રાત્રે 11:59 વાગ્યા સુધી રહેશે. પ્રિલીમ પરીક્ષામાં 2 પેપર ને 300 માર્કતમામ જગ્યાઓ માટે પ્રિલીમ પરીક્ષા યોજાશે, જે 26 એપ્રિલ 2026ના રોજ લેવામાં આવશે. પ્રિલીમ પરીક્ષામાં કુલ 2 પેપર રહેશે. જેમાં પેપર-1: સામાન્ય જ્ઞાન અને પેપર-2: સંબંધિત સંવર્ગ મુજબ વિષય આધારિત (200 માર્ક્સ) એમ કુલ મળીને 300 માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે. આ જગ્યાઓ માટે કાઉન્સિલિંગ પ્રક્રિયા આ ભરતીમાં કાઉન્સિલિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે. ઇન્ટરવ્યૂ બાદ લાયક ઉમેદવારોની યાદી અને કાઉન્સિલિંગની તારીખ આયોગ દ્વારા જાહેર કરવામાં આવશે. ખાસ કરીને 9 મહાનગરપાલિકાની 13 પોસ્ટ સહિત કુલ 202 જગ્યાઓ માટે કાઉન્સિલિંગ પ્રક્રિયા અમલમાં આવશે. મેરીટના આધારે લોકેશન પ્રેફરન્સ મળશેમેરીટના આધારે ઉમેદવારોને તેમની પસંદગી (પ્રેફરન્સ) મુજબ જગ્યાઓ ફાળવવામાં આવશે. મેરીટમાં પ્રથમ ક્રમે આવનાર ઉમેદવારને 9 મહાનગરપાલિકામાંથી પોતાની પસંદગી કરવાની તક મળશે, જ્યારે અંતિમ ક્રમના ઉમેદવારને મેરીટના આધારે બાકી રહેલી જગ્યાઓ ફાળવાશે. વન ટાઇમ રજિસ્ટ્રેશન (OTR) ફરજિયાતઆ ભરતીમાં વન ટાઇમ રજિસ્ટ્રેશન (OTR) ફરજિયાત કરવામાં આવ્યું છે. OTR મોબાઇલ નંબરના માધ્યમથી રહેશે. અગાઉ આવી વ્યવસ્થા ન હતી, પરંતુ હવે ભવિષ્યની તમામ ભરતીમાં ઉમેદવાર એક જ OTR દ્વારા પોતાની વિગતો અને દસ્તાવેજો ઉપયોગમાં લઈ શકશે. અગાઉ OTR મારફતે દસ્તાવેજ અપલોડ કરેલા ઉમેદવારોને ફરીથી દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર રહેશે નહીં.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:38 pm

અમદાવાદમાં એચસીએલ સ્ક્વોશ પીએસએ ચેલેન્જર ઇન્ડિયન ટૂર:ઇજિપ્તના ખેલાડીઓ ફરીદા વાલિદ અને સેફ રિફાઈ એ ટાઇટલ જીત્યા, 9 દેશોના 48 ખેલાડીઓએ ભાગ લીધો

પાંચ દિવસીય ટોપ ટીયર ઈન્ટરનેશનલ કોમ્પિટિશન બાદ, અમદાવાદ ખાતે આયોજિત ' એચસીએલ સ્ક્વોશ પીએસએ ચેલેન્જર ટૂર'નો આજે બેલવેડિયર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં સમાપન થયું. 27 એચસીએલ થી 31 જાન્યુઆરી દરમિયાન યોજાયેલી આ ટુર્નામેન્ટમાં 9 દેશોના 48 શ્રેષ્ઠ સ્ક્વોશ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં રમતવીરોએ પીએસએ વર્લ્ડ રેન્કિંગ પોઈન્ટ્સ મેળવવા માટે અત્યંત રોમાંચક અને તીવ્ર સ્પર્ધા કરી હતી. ચેન્નાઈ, જયપુર, મુંબઈ અને બેંગલુરુના સફળ તબક્કાઓ બાદ, આ ઈવેન્ટ દ્વારા ' એચસીએલ સ્ક્વોશ ઇન્ડિયન ટૂર' સર્કિટમાં અમદાવાદનું પ્રથમ વખત આગમન થયું છે, જેણે પ્રોફેશનલ સ્પોર્ટ્સ માટેના ડેસ્ટિનેશન તરીકે શહેરની વધતી જતી પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવી છે. ઇજિપ્ત, મલેશિયા, હોંગકોંગ, શ્રીલંકા, બ્રુનેઈ, માલ્ટા, ઈરાન અને ભારતના ખેલાડીઓએ પુરૂષ અને મહિલા બંને વર્ગમાં અનોખી ખેલદિલી, વ્યૂહાત્મક કૌશલ્ય અને કોમ્પિટિટિવ સ્પિરિટ પ્રદર્શિત કર્યું. એચસીએલ ગ્રુપના બ્રાન્ડ એન્ડ સ્ટ્રેટેજીના એવીપી અને હેડ, રજત ચાંદોલિયાએ જણાવ્યું હતું કે, “એચસીએલ સ્ક્વોશ ઇન્ડિયન ટૂરમાં અમદાવાદનો તબક્કો એક શક્તિશાળી ઉમેરો રહ્યો છે. શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ હું તમામ વિજેતાઓને અભિનંદન પાઠવું છું. સ્પર્ધાની ગુણવત્તા અને ખેલાડીઓ તરફથી મળેલો પ્રતિસાદ એ વાતની પુષ્ટિ કરે છે કે આ ટૂરનો નવા શહેરોમાં વિસ્તાર કરવો શા માટે મહત્વપૂર્ણ છે. એચસીએલમાં, અમારું ધ્યાન સતત ઉચ્ચ પ્રદર્શનની તકો પૂરી પાડવા પર છે, જે ભારતીય ખેલાડીઓને વૈશ્વિક મંચ પર સફળતા મેળવવા અને 2028 ઓલિમ્પિક સુધીના માર્ગ માટે તૈયાર કરે.” ઓલ ગુજરાત રેકેટ એસોસિએશનના જનરલ સેક્રેટરી, ભાનુ પ્રતાપ સિંહએ ઉમેર્યું હતું કે, “અમદાવાદમાં પીએસએ ઈવેન્ટનું આયોજન એ ભારતના સ્થાનિક સ્ક્વોશ ઈકોસિસ્ટમના સતત થઈ રહેલા વિકાસને પ્રતિબિંબિત કરે છે. એચસીએલ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) અને મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ સ્પોર્ટ્સના સતત સહયોગથી, આ ટૂર ભારતીય રમતવીરોને લાંબા ગાળાની સફળતા માટે જરૂરી કોમ્પિટિટિવ ડેપ્થ અને ઈન્ટરનેશનલ એક્સપોઝર પૂરું પાડી રહી છે.” મહિલા સિંગલ્સની ફાઈનલમાં, ઇજિપ્તની ફરીદા વાલિદે ભારતની તન્વી ખન્નાને 9-11, 13-15, 11-8, 12-10, 11-5 ના સ્કોરથી હરાવી ટાઇટલ જીત્યું હતું. બીજી તરફ, પુરુષોની ફાઈનલમાં ઇજિપ્તના સેફ રિફાઈએ પોતાના જ દેશના હાઝેમ હોસમને 11-4, 11-7, 11-4 ના સ્કોરથી પરાજય આપ્યો હતો. નોંધનીય છે કે, સેફ રિફાઈ તાજેતરમાં યોજાયેલી બ્રિટિશ ઓપન (U-19) નો પણ વિજેતા રહ્યો હતો. ભારતીય ખેલાડીઓએ ઘરઆંગણે પોતાનો મજબૂત પ્રભાવ પાડવાનું ચાલુ રાખ્યું હતું, અને આ ટુર્નામેન્ટનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધીઓ સામે પોતાની ક્ષમતા ચકાસવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે કર્યો હતો. લોસ એન્જેલસ 2028 માં સ્ક્વોશ રમત ઓલિમ્પિક ડેબ્યૂ કરવા જઈ રહી છે, ત્યારે ભારતની તૈયારીઓમાં અમદાવાદના આ તબક્કાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ સ્પર્ધાએ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરનું એક્સપોઝર અને રેન્કિંગ સુધારવાની અમૂલ્ય તકો પૂરી પાડી છે. પીએસએ-રજિસ્ટર્ડ આ ટુર્નામેન્ટમાં પુરુષો અને મહિલાઓ બંને શ્રેણીમાં USD 6,000 નું સમાન ઈનામ રાખવામાં આવ્યું હતું. આ બાબત જેન્ડર પેરિટી અને વ્યાવસાયિક શ્રેષ્ઠતા પ્રત્યે એચસીએલની સતત પ્રતિબદ્ધતાને દર્શાવે છે. 2016 થી, એચસીએલ અને એસઆરએફઆઈ વચ્ચેની ભાગીદારીએ 40 થી વધુ પ્રોફેશનલ ટુર્નામેન્ટ્સનું આયોજન કર્યું છે, જેનાથી 1,000 થી વધુ ભારતીય ખેલાડીઓને લાભ થયો છે અને વૈશ્વિક સ્ક્વોશ સર્કિટ પર ભારતની હાજરી મજબૂત બની છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:35 pm

સામાન્ય અકસ્માતમાં હાઉસિંગ બોર્ડના નિવૃત્ત ક્લાર્કની હત્યા:CNCDમાં કામ કરતા બે કર્મચારીઓએ માર મારી ગાડીના કાચ તોડ્યા, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત

અમદાવાદ શહેરના સોલામાં આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટ પાસે સામાન્ય અકસ્માત થતા બે યુવકોએ એક વૃદ્ધની હત્યા કરી દીધી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડના નિવૃત્ત ક્લાર્કની સામાન્ય અકસ્માતમાં બાઈક પર રહેલા અને CNCD વિભાગમાં કામ કરતા બે યુવકોએ માર મારીને ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. ઇજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં વૃદ્ધને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થતા સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે. વૃદ્ધની કારનો બાઈક સાથે અકસ્માત થયો હતોચાંદલોડિયામાં 60 વર્ષીય અલ્પેશભાઈ મહેતા પત્ની સાથે રહેતા હતા. અલ્પેશભાઈ પ્રગતિનગર ખાતે આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસમાંથી ક્લાર્ક તરીકે નિવૃત્ત થયા હતા. 29 જાન્યુઆરીએ રાતના સમયે તેઓ ગોતા પ્રસંગ પાર્ટી પ્લોટ પાસેથી ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઈક સાથે સામાન્ય અકસ્માત થતા બે બાઈકચાલકોએ બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. પોલીસે ઈજાગ્રસ્ત વૃદ્ધને હોસ્પિટલ ખસેડ્યા હતાબાદમાં આ બંને લોકોએ અલ્પેશભાઈની ગાડીના દરવાજાના કાચ તોડી નાખ્યા હતા. બંનેએ અલ્પેશભાઈને ચહેરા, માથા અને છાતીના ભાગે મુક્કા માર્યા હતા. અલ્પેશભાઈને લોહી નીકળતા પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા પોલીસ પહોંચી હતી. બાદમાં માર મારનાર અમિત વાઘેલા અને કેવલ વાઘેલા તથા અલ્પેશભાઈને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. ડોક્ટરે મૃત જાહેર કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યોઅલ્પેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી પોલીસે તેમને સારવાર માટે ખસેડ્યા હતા. સારવાર દરમિયાન ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓ CNDCમાં મૃત પશુઓના નિકાલનું કામ કરે છે અને અકસ્માત દરમિયાન ઉશ્કેરાઈને વૃદ્ધની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:33 pm

અમદાવાદના 5 પરિવારને નવા મકાન મળ્યા:માણેકચોકમાં આવેલી કાકાબળીયાની પોળમાં જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ દ્વારા મકાનોનું નિર્માણ

હેરિટેજ શહેર અમદાવાદના હેરિટેજ કોટ વિસ્તારમાં જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ દ્વારા અમદાવાદ ના પોળ વિસ્તારના જિનાલયોની આસપાસમાં પરિવારોને વસાવવા માટે આવાસ યોજનાનું કાર્ય હાથ ધરાયેલ છે તેના ભાગ રૂપે આજે માણેકચોક વિસ્તારની કાકાબળીયાની પોળ ખાતે 400 વર્ષથી વધુ પ્રાચીન સુવિધિનાથ જિનાલયની બાજુમાં પાંચ પરિવારોને નવા આવાસ લોકાપર્ણનો કાર્યક્રમ આજરોજ યોજાઈ ગયો. પ. પૂ. સા. મૈત્રીરત્નાજી મ.સા.ના આમંત્રણથી આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સદ્દભાગ્ય સાંપડ્યું હતું. વારસો ગામે તેટલો વૈભવશાળી હોય તે સાચવવો ખુબજ જરૂરી હોય છે. સહજ આજ ભૂમિ પર 600 વર્ષ આબાદ વસ્તીની વિપુલતા હતી અને તે પહેલાં પણ આ શહેર વસ્તીથી ભરચક હતું. આજે છેલ્લા કેટલાય વર્ષોથી સતત વસ્તીનું સ્થળાંતરણ તે પોળોનો વર્તમાનમાં સળગતો પ્રશ્ન છે. જિનાલયો, મંદિરો ધાર્મિક સ્થાપત્યોનો વારસો તેની આસપાસ રહેતા લોકો દ્વારા હાલ સચવાય છે. પોળ વિસ્તારની નાની-નાની ગલીઓમાં કોમર્શિયલ અને વળી પાર્કિંગના અભાવે ભયકંર ટ્રાફિક સમસ્યા તે પણ એક સળગતો પ્રશ્ન છે. ઘણી પોળો ઉજ્જડ બની ચૂકી છે. જેનો વર્તમાન અતિ સંઘર્ષમય છે તેનો ભવિષ્યમાં સંઘર્ષ વધશે તેવું સ્પષ્ટ ભાસી રહ્યું છે. ઘણી પોળો નો વારસો આજેય પોતાની કલાને- વૈભવને યથાવત સાચવીને અડીખમ ઉભો છે. જેના પરિણામે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જો મળ્યો છે. આ દરજ્જો મળી જવા માત્રથી કે ટુરિસ્ટ બહારથી જોવા આવવાથી આ વારસો નહીં જળવાય. અહીંના રહેવાસીઓ સાથે આ વારસાનો અવિનાભાવી સંબંધ છે. જો વસ્તીનું સ્થળાંતરણ હજુ પણ લાંબો સમય ચાલુ રહેશે તો ઘણો વારસો નષ્ટ થતાં વાર નહીં લાગે.અમદાવાદની પોળ વિસ્તારના પ્રાચીન જીનાલયો આદિ સ્થાપત્યની બાજુમાં જિનાજ્ઞા આવાસ યોજના હાલ કાર્યરત છે. આ ટ્રસ્ટ દ્વારા 40 મકાનો લઈને સમારકામ કરીને પરિવારોને વસાવવાનું કાર્ય 2018થી શરૂ કરેલ છે. આ આવાસ યોજનાના યજ્ઞથી જીનાલય-સ્થાપત્યો સંબંધી તેમજ પરિવારોના અભ્યુદય સંબંધી ઘણા બધા પ્રશ્નનું નિવારણ શક્ય બન્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:31 pm

મતદાર યાદી સુધારણામાં 14.70 લાખ અરજીઓ:અરજીઓના નિકાલ માટે વહીવટી તંત્ર 10 ફેબ્રુઆરી સુધી ચલાવશે ખાસ ચકાસણી ઝુંબેશ

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) અંતર્ગત નાગરિકોએ ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો છે. 27 ઓક્ટોબર 2025 થી શરૂ થયેલી આ પ્રક્રિયામાં 19 ડિસેમ્બર 2025 ના રોજ મુસદ્દા યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. દાવા અને વાંધા રજૂ કરવાની અંતિમ સમયસીમા 30 જાન્યુઆરી 2026 સુધીમાં રાજ્યભરમાંથી કુલ 1,470,125 ફોર્મ્સ વહીવટી તંત્રને મળ્યા છે. ફોર્મની વિગત અને ચકાસણીની પ્રક્રિયા નાગરિકો તરફથી મળેલા કુલ ફોર્મ્સમાં નવા નામ ઉમેરવા માટેના ફોર્મ નંબર 6 ની સંખ્યા 725,920 છે, જ્યારે નામ રદ કરવા માટેના ફોર્મ નંબર 7 ની સંખ્યા 183,235 છે. આ ઉપરાંત, નામ કે વિગતોમાં સુધારા-વધારા માટે ફોર્મ નંબર 8 હેઠળ 560,970 અરજીઓ મળી છે. ચૂંટણી પંચના ‘કોઈ પાત્ર મતદાર રહી ન જાય’ તેવા હેતુ સાથે હવે આ ફોર્મ્સની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે. તમામ મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા 10 ફેબ્રુઆરી 2026 સુધીમાં આ અરજીઓનો નિકાલ કરવામાં આવશે. જિલ્લાવાર મળેલા ફોર્મની વિગતવાર યાદી ચૂકી ગયેલા નાગરિકો માટે તક જે નાગરિકો આ ખાસ ઝુંબેશમાં જોડાવાનું ચૂકી ગયા છે, તેમણે ચિંતા કરવાની જરૂર નથી. ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં ‘સતત સુધારણા’ પ્રક્રિયા હેઠળ નાગરિકો ગમે ત્યારે ફોર્મ ભરી શકશે. આ પ્રક્રિયા દ્વારા નામ ઉમેરવું, રદ કરવું કે સરનામું બદલવા જેવા ફેરફારો સતત ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:16 pm

કુખ્યાત ‘સિકલીગર ગેંગ’ના 4 સાગરીત આણંદથી ઝડપાયા:છાપા-કચરાના ઢગલા જોઈ રેકી કર્યા બાદ ઘરને નિશાન બનાવતા; 12 ગંભીર ગુનાનો ભેદ ઉકેલાયો

સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીના ગુના આચરી તરખાટ મચાવનાર કુખ્યાત “સિકલીગર ગેંગ” નો સુરત ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે આ ગેંગના સભ્યો આણંદના ચીખોદરા ચોકડી પાસે હાજર છે, જેના આધારે DCB પોલીસની ટીમે દરોડો પાડી આઝાદસીંગ ઉર્ફે ધનરીસીંગ ટાંક, મલીન્દરસીંગ બાવરી, અજયસીંગ ઉર્ફે મામુ અને જીતેન્દરસીંગ ઉર્ફે દીલજીતસીંગને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓ પાસેથી ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે, જેઓ લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યા હતા. છાપા અને કચરાના ઢગલા જોઈ કરતા હતા રેકી: ચોરીની અનોખી પદ્ધતિઆ ગેંગની સૌથી ચોંકાવનારી પદ્ધતિ તેમની રેકી કરવાની રીત હતી. તેઓ સોસાયટીઓમાં ફરીને એવા મકાનો શોધતા હતા જે લાંબા સમયથી બંધ હોય. આ માટે તેઓ મકાનના દરવાજા પાસે પડેલા છાપા અને જમા થયેલા કચરાને નિશાન બનાવતા હતા. જો દરવાજા પાસે છાપાનો થપ્પો પડ્યો હોય, તો તેઓ ખાતરી કરી લેતા કે પરિવાર બહારગામ છે. ત્યારબાદ મોડી રાત્રે લોખંડના પાના અને પેચીયા વડે મકાનના નકુચા તોડી તેઓ મકાનમાં પ્રવેશ કરી તિજોરી સાફ કરી નાખતા હતા. 'યુઝ એન્ડ થ્રો' બાઈક પોલિસીધરપકડ કરાયેલા આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ અત્યંત આયોજનબદ્ધ રીતે ગુનાને અંજામ આપતા હતા. ચોરી કરવા માટે તેઓ સૌ પ્રથમ હાઈવે અથવા અન્ય સોસાયટીઓમાંથી 2 મોટરસાયકલની ચોરી કરતા હતા. આ ચોરેલા વાહનોનો ઉપયોગ કરીને તેઓ ઘરફોડ ચોરી કરવા જતા હતા અને કામ પૂરું થયા પછી જે તે વાહનોને તેમની મૂળ જગ્યાએ અથવા નજીકમાં પરત મૂકી દેતા હતા. આ પદ્ધતિ પાછળનો હેતુ પોલીસ તપાસમાં પોતાના વાહનો ટ્રેક ન થાય અને સીસીટીવી ફૂટેજમાં ગેરમાર્ગે દોરવાનો હતો. 12 ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલાયો: લાખોની મત્તાની ચોરીની કબૂલાતપૂછપરછ દરમિયાન આ ગેંગે સુરત શહેરના ઉત્રાણ અને અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલી મોટી ચોરીઓની કબૂલાત કરી છે. જેમાં અમરોલીમાં Rs. 5,66,688 અને ઉત્રાણમાં Rs. 1,97,000 ની મત્તાની ઘરફોડ ચોરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓક્ટોબરથી ડિસેમ્બર 2025 દરમિયાન પાલોદ, પીપોદરા, કડોદરા, અંકલેશ્વર, કીમ અને સાયણ વિસ્તારમાંથી 8 જેટલી મોટરસાયકલની ચોરી તેમજ અનેક મકાનોમાં તાળા તોડ્યા હોવાનું સામે આવ્યું છે. કુલ 12 જેટલા ગુનાઓના ભેદ ઉકેલાતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. મુખ્ય સૂત્રધારનો ગુનાહિત ઈતિહાસ અને નાગરિકો માટે ચેતવણીગેંગનો મુખ્ય સાગરીત આઝાદસીંગ ઉર્ફે ધનરીસીંગ ટાંક રીઢો ગુનેગાર છે, જેની સામે અગાઉ નવસારી, કાપોદ્રા, વરાછા અને સચિન GIDC સહિતના પોલીસ સ્ટેશનોમાં 12 જેટલા ગુના નોંધાયેલા છે. તેની સામે હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો હેઠળ પણ અગાઉ કાર્યવાહી થઈ ચૂકી છે. આ કિસ્સા બાદ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે બહારગામ જતી વખતે મકાન બહાર છાપા જમા ન થવા દેવા અને શક્ય હોય તો સીસીટીવી કેમેરા લગાવવા, જેથી આવા ગુનેગારોની નજરમાંથી બચી શકાય.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:15 pm

ભરૂચમાં દિવ્યાંગો માટે લીપન આર્ટ તાલીમ શરૂ:સ્વરોજગારને વેગ આપવા 12 દિવસીય કાર્યક્રમનું આયોજન

ભરૂચમાં દિવ્યાંગોના સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે 12 દિવસીય લીપન આર્ટ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અને અપંગ માનવ મંડળના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ ઇન્ટરપ્રેનર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત આ તાલીમ ભરૂચના સોનેરી મહેલ 7 એક્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ હતી. આ તાલીમ કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ તાલીમાર્થીઓએ લીપન આર્ટની વિવિધ આકર્ષક અને સર્જનાત્મક કલાકૃતિઓ તૈયાર કરી હતી. તેમને આધુનિક, વ્યવસાયલક્ષી અને સર્જનાત્મક લીપન આર્ટની તકનીકો અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભરૂચ અને આસપાસના વિસ્તારોના દિવ્યાંગોને સ્વરોજગાર તરફ વાળી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાતભરમાં સામાજિક કલ્યાણ, મહિલા સશક્તિકરણ અને શૈક્ષણિક ઉત્થાન માટે કાર્યરત છે. કાર્યક્રમમાં મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વૈશાલી આહિર, જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને અને ઉપપ્રમુખ જીગ્નશા ગોસ્વામી સહિત ટ્રસ્ટના સભ્યો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પીએસઆઇ વૈશાલી આહિરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આવા તાલીમ કાર્યક્રમો દિવ્યાંગોને આવકનું સાધન પૂરું પાડવાની સાથે તેમનો આત્મવિશ્વાસ વધારી સમાજની મુખ્ય ધારા સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના આ પ્રયાસોની પ્રશંસા કરી હતી. કાર્યક્રમના અંતે, તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવા સ્વરોજગારલક્ષી કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:13 pm

રાજકોટ ગ્રામ્ય SPને 8 અઠવાડિયામાં નિર્ણય લેવા આદેશ:શિવાનંદ આંખની હોસ્પિ.માં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓએ દૃષ્ટિ ગુમાવ્યાનો આક્ષેપ, હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો

રાજકોટ જિલ્લા અંતર્ગત વિરનગર ખાતે આવેલી શિવાનંદ આંખની હોસ્પિટલમાં વર્ષ 2024 દરમિયાન યોજાયેલા આંખના નિદાન કેમ્પને લઈને વિવાદ ઊભો થયો હતો. આ કેમ્પ દરમિયાન કરાયેલી સારવાર અને ત્યારબાદ થયેલી સર્જરીમાં અમુક દર્દીઓએ પોતાની દૃષ્ટિ ગુમાવી હોવાનો આક્ષેપ કરાયો હતો. આ સમગ્ર મામલે હોસ્પિટલ સામે પોલીસ ફરિયાદ નોંધવાની માગ સાથે 7 પીડિતોએ એડવોકેટ પ્રશાંત ચાવડા મારફતે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે રાજકોટ ગ્રામ્ય SPને અરજદારોની રજૂઆત ઉપર 8 સપ્તાહમાં નિર્ણય લેવા માટે હુકમ કરી અરજીનો નિકાલ કર્યો છે. દર્દીઓએ આંખોની દૃષ્ટિ ગુમાવી દીધી હોવાનો દાવોવર્ષ 2024માં વિરનગર ખાતે શિવાનંદ આંખની હોસ્પિટલ દ્વારા એક આંખનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પનો હેતુ ગ્રામ્ય વિસ્તારોના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આંખની તપાસ અને જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવાનો હતો. મોટી સંખ્યામાં દર્દીઓએ કેમ્પમાં હાજરી આપી હતી અને આંખના વિવિધ રોગોની તપાસ કરાવી હતી. કેમ્પ દરમિયાન કેટલાક દર્દીઓને આંખની સર્જરી કરવાની સલાહ આપવામાં આવી હતી. સર્જરી બાદ અમુક દર્દીઓની સ્થિતિ ખરાબ બની હતી અને કેટલાકે તો કાયમી રીતે આંખોની દૃષ્ટિ ગુમાવી દીધી હોવાનો દાવો કર્યો છે. ફરિયાદ કરવા છતાં કોઈ કડક કાર્યવાહી કરાઈ નહીસર્જરી પછી દર્દીઓની આંખોમાં દુખાવો, ચેપ, દૃષ્ટિમાં અચાનક ઘટાડો અને સંપૂર્ણ અંધત્વ જેવી સમસ્યાઓ જોવા મળવા લાગી. પીડિતો અને તેમના પરિવારજનોએ હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરોનો સંપર્ક કર્યો હતો. પરંતુ સંતોષકારક જવાબો મળ્યા નહીં. કેટલાક દર્દીઓને બીજી હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ઘટનાની ફરિયાદ સ્થાનિક સ્તરે કરવામાં આવી હોવા છતાં લાંબા સમય સુધી કોઈ અસરકારક તપાસ અથવા કડક કાર્યવાહી કરવામાં આવી નહોતી. રાજકોટ ગ્રામ્ય SPને 8 અઠવાડિયામાં નિર્ણય લેવા આદેશ કર્યાએડવોકેટ પ્રશાંત ચાવડાએ હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી કે આ મામલો યોગ્ય મેડિકલ પ્રોટોકોલનું પાલન ન કરવું, દર્દીઓની સુરક્ષા પ્રત્યે ઉદાસીનતા રાખવી અને સર્જરી પૂર્વે જરૂરી તપાસ ન કરવી એ તમામ મુદ્દાઓ કાયદેસર ગુનો બને છે. આ દલીલ સાંભળીને હાઈકોર્ટે સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઈ મહત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે રાજકોટ ગ્રામ્ય SP ને આ કેસની 8 અઠવાડિયામાં અરજદારોની અરજી ઉપર નિર્ણય લેવા આદેશ કર્યા છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:11 pm

18મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા:541 સ્પર્ધકો દોટ મૂકશે; ભાઈઓ અંબાજી અને બહેનો માળી પરબ સુધીના પગથિયાં સર કરશે

ગિરનારની પવિત્ર ગોદમાં સાહસ અને શૌર્યનો સંગમ થવા જઈ રહ્યો છે. રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જૂનાગઢ વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે 1 ફેબ્રુઆરીના રોજ 18મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા-2026 યોજાશે. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભારતભરના 12 રાજ્યોમાંથી કુલ 541 ખેલાડીઓ પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. સ્પર્ધાના પૂર્વતૈયારી રૂપે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે તમામ સ્પર્ધકોનું મેડિકલ ચેકઅપ શરૂ કરી દેવામાં આવ્યું છે. કેટેગરી મુજબ સ્પર્ધકોનું વિભાજન આ વર્ષે સ્પર્ધામાં કુલ 4 કેટેગરી રાખવામાં આવી છે. જેમાં સિનિયર ભાઈઓ 196, જુનિયર ભાઈઓ 134, સિનિયર બહેનો 120 અને જુનિયર બહેનો 91 મળીને કુલ 541 રમતવીરો જોમ અને જુસ્સા સાથે પહાડ સર કરશે. સ્પર્ધામાં ભાગ લેનારા ભાઈઓએ ભવનાથ તળેટીથી અંબાજી મંદિર સુધીના 5500 પગથિયાં અને બહેનોએ માળી પરબ સુધીના 2200 પગથિયાં ચઢવાના અને ઉતરવાના રહેશે. પ્રથમવાર સી.પી.આર. ટ્રેનીંગનું આયોજન વર્તમાન સમયમાં વધતા જતા હૃદયરોગના હુમલાના બનાવોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વિશેષ સાવચેતી રાખવામાં આવી છે. 31 જાન્યુઆરીના રોજ સાંજે 5:00 કલાકે મંગલનાથ આશ્રમ ખાતે તમામ સ્પર્ધકો, વ્યાયામ શિક્ષકો અને ઇન્સ્ટ્રકટરોને સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા CPR (કાર્ડિયો પલ્મોનરી રિસસીટેશન) ની તાલીમ આપવામાં આવશે. આ તાલીમનો ઉદ્દેશ્ય સ્પર્ધા દરમિયાન કોઈ કટોકટી સર્જાય તો ત્વરિત પ્રાથમિક સારવાર પૂરી પાડવાનો છે. રાજ્યની અન્ય પર્વત સ્પર્ધાઓના વિજેતાઓનો સમાવેશ આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતના ઓસમ, ચોટીલા, ઇડર, પાવાગઢ અને પારનેરા પર્વત ખાતે યોજાયેલી સ્પર્ધાઓના પ્રથમ 10 વિજેતાઓ તેમજ રાજ્યકક્ષાની ગિરનાર સ્પર્ધાના પ્રથમ 25 વિજેતાઓને સીધો પ્રવેશ આપવામાં આવ્યો છે. સ્પર્ધકો માટે નિવાસ, ભોજન, ટી-શર્ટ અને મેડિકલ સુવિધાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. વિજેતાઓને ટ્રોફી, મેડલ અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા સજ્જ તૈયારીઓ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ, વન વિભાગ, આરોગ્ય અને મહાનગરપાલિકા સહિતની કુલ 8 સમિતિઓ કાર્યરત છે. તમામ સ્પર્ધકોએ 30 જાન્યુઆરીએ સનાતન ધર્મશાળા ખાતે રિપોર્ટિંગ પૂર્ણ કર્યું છે. માર્ગમાં રોપ-વે અને પીજીવીસીએલ જેવી સંસ્થાઓ પણ સેવાઓ પૂરી પાડશે જેથી સ્પર્ધા કોઈ પણ અવરોધ વિના સંપન્ન થઈ શકે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:06 pm

સાંસદ હેમાંગ જોષીના જન્મદિવસની ગોધરામાં ઉજવણી:માનસિક દિવ્યાંગ બાળકોની શાળામાં યુવા મોરચાએ કેક કાપી, ભોજન કરાવ્યું

ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ અને વડોદરાના સાંસદ હેમાંગ જોષીના જન્મદિવસની ગોધરામાં ઉજવણી કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા માનસિક ક્ષતિ ધરાવતા બાળકો માટેની શિક્ષણ અને તાલીમ નિવાસી શાળામાં સેવાકીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લા યુવા મોરચાના હોદ્દેદારોએ શાળાની મુલાકાત લીધી હતી. તેમણે બાળકો સાથે કેક કાપીને સાંસદ હેમાંગ જોષીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. બાળકોના ચહેરા પર ખુશી લાવવા માટે વિવિધ શૈક્ષણિક અને મનોરંજક રમકડાંનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે, તમામ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 5:06 pm

પોરબંદરમાં 8મો આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર યોજાશે:કચ્છના છારી ઢાંઢને રામસર સાઈટનો દરજ્જો મળતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે આનંદ

મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર હવે કુદરતી વારસાના સંરક્ષણનું સાક્ષી બનશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે આગામી 1 અને 2 ફેબ્રુઆરીના રોજ 8મા ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ’ સેમિનાર-વર્કશોપનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્ય મંત્રી પ્રવિણ માળી વિશેષ ઉપસ્થિત રહેશે. ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમ વિશ્વ વેટલેન્ડ્સ દિવસ-2026 ની ઉજવણીના ભાગરૂપે યોજાઈ રહ્યો છે. સાંસ્કૃતિક વારસો અને પરંપરાગત જ્ઞાનની થીમ આ વર્ષના સેમિનારની વૈશ્વિક થીમ “જળપ્લાવિત વિસ્તાર અને પરંપરાગત જ્ઞાન: સાંસ્કૃતિક વારસાનો ઉત્સવ” રાખવામાં આવી છે. આ બે દિવસીય કાર્યક્રમનો મુખ્ય હેતુ જળપ્લાવિત વિસ્તારો અને તેની સાથે જોડાયેલા સ્થાનિક લોકોના પરંપરાગત જ્ઞાન વચ્ચેના અતૂટ સંબંધને મજબૂત કરવાનો છે. આ મંચ દ્વારા વન વિભાગના અધિકારીઓ, સંશોધકો અને યુનિવર્સિટીઓ માટે ક્ષમતાવર્ધનની નવી તકો ઊભી થશે. દેશ-વિદેશના નામાંકિત વૈજ્ઞાનિકો અને નીતિ નિર્માતાઓ અહીં પોતાના અનુભવો અને સંશોધનો રજૂ કરશે. ગુજરાતનો 21.9 ટકા હિસ્સો વેટલેન્ડ હેઠળ નેશનલ વેટલેન્ડ એટલાસ (2021 SAC–ISRO) ના આંકડા મુજબ, ગુજરાત વેટલેન્ડના મામલે દેશનું અગ્રણી રાજ્ય છે. રાજ્યનો અંદાજે 3.49 લાખ હેક્ટર વિસ્તાર જળપ્લાવિત છે. આ વિસ્તાર ભારતભરના કુલ વેટલેન્ડ્સના 21.9 ટકા જેટલો મોટો હિસ્સો ધરાવે છે, જે ગુજરાતના ભૌગોલિક વિસ્તારના 17.8 ટકા થાય છે. આ જળપ્લાવિત વિસ્તારો પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. નવી રામસર સાઈટ્સ માટેનો મહત્વનો પ્રસ્તાવ ગાંધીનગર ખાતે મળેલી ગુજરાત સ્ટેટ વેટલેન્ડ અથોરિટી (GSWA)ની ત્રીજી બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા છે. રાજ્ય સરકારે પોરબંદરના ગોસાબારા-મોકર સાગર અને કચ્છના ફ્લેમિંગો સિટીને નવી રામસર સાઈટ જાહેર કરવા કેન્દ્ર સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, કચ્છના ‘છારી ઢાંઢ’ ને તાજેતરમાં જ 31 જાન્યુઆરી 2026ના રોજ રામસર સાઈટનો દરજ્જો પ્રાપ્ત થયો છે, જે ગુજરાત માટે મોટી સિદ્ધિ છે. આ ઉપરાંત, હવે શહેરી આયોજનમાં પણ વેટલેન્ડ્સની ઓળખ અને તેના સંરક્ષણને પ્રાધાન્ય આપવામાં આવશે. પોરબંદર: યાયાવર પક્ષીઓનું સ્વર્ગ પોરબંદર જિલ્લો માત્ર ઐતિહાસિક જ નહીં પણ કુદરતી દ્રષ્ટિએ પણ સમૃદ્ધ છે. ગોસાબારા-મોકર સાગર વેટલેન્ડ કોમ્પ્લેક્સ અને પોરબંદર પક્ષી અભયારણ્ય હજારો યાયાવર પક્ષીઓનું આશ્રયસ્થાન છે. અહીંના દરિયાકાંઠાના વિસ્તારો, ખાડીઓ અને ભરતી-ઓટના મેદાનોમાં સમુદ્રી કાચબા અને વિવિધ સ્તનધારી જીવોની મોટી વસ્તી વસે છે. GEER ફાઉન્ડેશન વર્ષ 2016-17 થી વેટલેન્ડની નોડલ એજન્સી તરીકે કાર્યરત રહી અત્યાર સુધીમાં 7 સફળ સેમિનાર યોજી ચૂક્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 4:53 pm

વલસાડ પાલિકાની સભામાં હોબાળો:ભાજપના સભ્યોએ જ પક્ષ સામે વિરોધ કર્યો

વલસાડ નગરપાલિકાની જાન્યુઆરી માસની ખાસ સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો. નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલના અધ્યક્ષ સ્થાને મળેલી આ સભામાં ભાજપના કાઉન્સિલરો અને ભાજપ સમર્થિત અપક્ષ સભ્યોએ જ તેમના વિસ્તારમાં વિકાસના કામો ન થતા હોવા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. આ રજૂઆતોને કારણે ભાજપના કાઉન્સિલરો સામસામે આવી ગયા હતા. આ ઉપરાંત, પ્રમુખ માલતીબેન ટંડેલનો પાલિકાના કર્મચારીઓ પર અંકુશ ન હોવાના પ્રશ્નો પણ સભામાં ઉઠ્યા હતા. સભા તોફાની બનતા વિપક્ષી સભ્યોએ વિકાસના કામોમાં વિલંબ અને ચીફ ઓફિસર (CO) ના વલણ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કાઉન્સિલર જ્યોત્સનાબેન રાઠોડ અને અન્ય સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ સભ્યોની રજૂઆત સાંભળતા નથી અને દરેક વાતમાં 'RTI કરો' એવો ઉદ્ધત જવાબ આપે છે. મુખ્ય આક્ષેપોમાં વોર્ડ નં. 1 ના મોગરાવાડી વિસ્તારમાં આવેલી શાળામાં લાંબા સમયથી ગંદા પાણીનો ભરાવો થવાનો પ્રશ્ન હતો, જેનાથી નાના બાળકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. લેખિત રજૂઆતો કરવા છતાં નિરાકરણ ન આવતા સભ્યોએ CO ની બદલી કરવાની માંગ કરી હતી. વિપક્ષી સભ્યોએ 'આ તાનાશાહી નહીં ચાલે' ના નારા લગાવી સભા ગજવી મૂકી હતી. આ મામલે નગરપાલિકાના પ્રમુખ માલતીબેન ટંડેલે જણાવ્યું હતું કે, તમામ સભ્યોની રજૂઆતોને ધ્યાને લેવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે ડ્રેનેજ, રસ્તા અને ડોર-ટુ-ડોર કલેક્શન જેવા વિકાસના મોટા કામો કારોબારીમાં મંજૂર થઈ ગયા છે અને આગામી બે માસમાં તે પૂર્ણ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 4:46 pm

આણંદ મનપાએ તુલિપ હોસ્પિટલને ₹1 લાખનો દંડ ફટકાર્યો:BU પરમિશન 10 દિવસમાં મેળવવા નોટિસ, બિલ્ડિંગનો વપરાશ નહીં કરી શકે

આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની ટીમે લાંભવેલ રોડ પર આવેલી તુલિપ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ હોસ્પિટલ ઝાયડસ હોસ્પિટલની પાછળ આવેલી છે. મહાનગરપાલિકાની ટીમે હોસ્પિટલના કબજેદાર પાસેથી બાંધકામ મંજૂરી, મંજૂર થયેલ પ્લાન, BU પરમિશન અને ફાયર NOC અંગેના દસ્તાવેજોની ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તુલિપ હોસ્પિટલના સંચાલકો પાસે સક્ષમ ઓથોરિટી પાસેથી મેળવેલી જરૂરી પરવાનગીઓ નહોતી.પરવાનગીઓના અભાવને કારણે, મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની જોગવાઈઓના ભંગ બદલ તુલિપ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને વહીવટી ચાર્જ પેટે ₹1,00,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, તુલિપ હોસ્પિટલના સંચાલકોને 10 દિવસમાં સક્ષમ ઓથોરિટી પાસેથી જરૂરી પરવાનગીઓ મેળવીને રજૂ કરવા અને ત્યાં સુધી આ બિલ્ડિંગનો ઉપયોગ ન કરવા માટે નોટિસ આપવામાં આવી છે. જો આ સૂચનાનું પાલન નહીં થાય, તો મહાનગરપાલિકા દ્વારા કાયદાની જોગવાઈઓને આધીન હોસ્પિટલને સીલ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 4:44 pm

છોટા ઉદેપુરમાં ખોટા ચલણ સાથે બે ડોલોમાઇટ ટ્રક ઝડપાઈ:ખાણ ખનિજ વિભાગે ચાર સામે ગુનો નોંધાવ્યો, તપાસ શરૂ

છોટા ઉદેપુર જીલ્લા ખાણ ખનીજ વિભાગે ગોલા ગામડી ચેકપોસ્ટ પર ડોલોમાઇટની ખોટા ડિલિવરી ચલણ લઈને જતી બે ટ્રક ઝડપી પાડીને બે ડ્રાઈવર તેમજ બે અન્ય સામે સંખેડા પોલીસે ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે. છોટા ઉદેપુર જીલ્લો ખનીજ માટે સ્વર્ગ સમાન છે,જેમાં ડોલોમાઇટ ઉધ્યોગ અને રેતી ઉધ્યોગ ખૂબ મોટો ચાલી રહ્યો છે ત્યારે કંઈજ માફીયાઓ રાતોરાત અબજોપતિ થવા માટે ખોટા રસ્તાઓનો ઉપયોગ કરી રહ્યા છે.અને ખોટા ડિલિવરી ચલણ બનાવીને ખનિજનું વેચાણ કરી રહ્યા છે.ત્યારે આવો જ એક ખોટા ડિલિવરી ચલણનો ઉપયોગ કરીને બે ટ્રક ડોલોમાઇટ ભરીને જતી ગોલા ગામડી ખાણ ખનીજ ચેકપોસ્ટ પર ઝડપાઈ છે. છોટા ઉદેપુર ખાતેથી ડોલોમાઇટ પાવડર ભરીને નીકળેલી ટ્રક નં.GJ 09 Y 7940 અને GJ 34 T 5551 ને ગોલા ગામડી ચેકપોસ્ટ પર ચેકીંગ માટે ઊભી રખાવતા બન્ને ડ્રાઈવરે ડિલિવરી ચલણ બતાવ્યું હતું.જેમાં એક પાસેથી પૂજા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ડિલિવરી ચલણ ઇસ્યુ કરેલ હતું,જયારે બીજી ટ્રકના ડ્રાઈવરે આપેલ ડિલિવરી ચલણ લકુલેશ ગ્રાઇન્ડીંગ ઈન્ડસ્ટ્રીઝ,છોટા ઉદેપુર નું હતું.જેને ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા GEOMINE એપ્લીકેશનમાં ચેક કરતા તે ડિલિવરી ચલણ ખોટા હોવાનું જણાઈ આવ્યું હતું.જેથી ખાણ ખનીજ વિભાગ દ્વારા આ બન્ને ટ્રેકને જપ્ત કરીને બંને ટ્રક ડ્રાઈવર ઈનોશભાઈ અરવિનભાઈ રાઠવા રહે. જામલા,તા.જી.છોટા ઉદેપુર અને નરેશભાઈ કાગડાભાઈ રાઠવા રહે.છોટા ઉદેપુરની પૂછપરછ હાથ ધરી હતી. ખાણ ખનીજ વિભાગ દ્વારા બંને ટ્રક ડ્રાઇવની પૂછપરછ કરતા ઈનોશભાઈ રાઠવાએ ભાનુ મિનરલ્સ,જે માનવ અજમેરા નામના વ્યક્તિને ત્યાંથી ભરીને લાવ્યા હોવાનું જણાવ્યું હતું.જ્યારે બીજી ટ્રકના ડ્રાઈવર નરેશ રાઠવાએ એપેક્સ ઓવરસિઝ જે અશોક અજમેરા તથા માનવ અજમેરા નામના વ્યક્તિને ત્યાંથી ભર્યું હોવાનું જણાવ્યું હતું. જેને લઈને ખાણ ખનીજ વિભાગ બંને ટ્રક ડ્રાઈવર ઈનોશભાઈ અરવીનભાઈ રાઠવા,નરેશભાઈ કાગડાભાઈ રાઠવા, અશોક અજમેરા અને માનવ અજમેરા વિરુદ્ધ લકુલેશ ગ્રાઇન્ડીંગ ઈન્ડસ્ટ્રીઝ અને પૂજા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઇસ્યૂ કરેલ ડિલિવરી ચલણનો ખોટા બનાવટી ડિલિવરી ચલણ તરીકે ઉપયોગ કરીને ખોટા ડિલિવરી ચલણને સાચા ડિલિવરી ચલણ તરીકે રજૂ કરવાને લઈને સંખેડા પોલીસ મથકે ફરિયાદ કરતા સંખેડા પોલીસે ચારે જણા વિરોધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. ટ્રક ડ્રાઈવર ઈનોશભાઈ રાઠવા દ્વારા રજૂ કરવામાં આવેલ ડિલિવરી ચલણની વિગત- ટ્રક નં GJ-09-Y-7940- STML29010049130029002587- ઇસ્યૂ તા.16 જાન્યુઆરી 2026 11.40. AM- સ્ટોક હોલ્ડરનું નામ : STML લકુલેશ ગ્રાઇન્ડીંગ ઈન્ડસ્ટ્રીઝ- પરચેઝરનું નામ: એપેક્સ ઓવરસીઝ,વસઈ, થાણે,મહારાષ્ટ્ર- વજન : 12.400 ટન ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ કરતા અસલ ડિલિવરી ચલણની વિગત- STML 29010049130029002587- ઇસ્યૂ તા.18/12/2025, 5:06:02 PM- સ્ટોક હોલ્ડરનું નામ: લકુલેશ ગ્રાઇન્ડીંગ ઈન્ડસ્ટ્રીઝ,છોટા ઉદેપુર- પરચેઝરનું નામ : ગાયત્રી મિનરલ્સ,ખંભાત,આણંદ- વજન: 32.500 ટન ટ્રક ડ્રાઈવર નરેશ રાઠવા દ્વારા રજૂ કરવામાં આવેલ ડિલિવરી ચલણની વિગત- STML 29010004130062000222- ઇસ્યૂ તા.16 જાન્યુઆરી 2026, 04: 22 PM- સ્ટોક હોલ્ડરનું નામ: પૂજા ઇન્ડસ્ટ્રીઝ,પીપલેજ,છોટા ઉદેપુર- પરચેઝરનું નામ: એપેક્સઓવરસીઝ,જંબુસર,ભરૂચ- વજન : 29.600 ટન ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ કરતા અસલ ડિલિવરી ચલણની વિગત- STML 29010004130062000222- ઇસ્યૂ તા.13/12/2025, 20:30 PM- હોલ્ડરનું નામ : પૂજા ઇન્ડસ્ટ્રીઝ,પીપલેજ,છોટા ઉદેપુર- પરચેઝરનું નામ : પી.કે.મિનરલ, કર્ણાટક- વજન29.600 ટન

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 4:28 pm

નવસારી ફ્લાવર શોમાં 1200થી વધુ બાળકોને વિનામૂલ્યે નાસ્તો અપાયો:લુન્સીકુઈ લારી એસોસિએશન દ્વારા આયોજન કરાયું

નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ફ્લાવર શો હાલ શહેરનું મુખ્ય આકર્ષણ બન્યો છે. આ શોમાં ફૂલોની સુંદરતાની સાથે માનવતાની મહેક પણ પ્રસરી રહી છે, જ્યાં લુન્સીકુઈ લારી એસોસિએશન દ્વારા બાળકો માટે વિનામૂલ્યે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે. લુન્સીકુઈ લારી એસોસિએશનના અગ્રણી ભગુભાઈ પેથાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના આયોજનમાં સહભાગી થવા અને બાળકોનો ઉત્સાહ વધારવા આ સેવા શરૂ કરાઈ છે. નાસ્તામાં ઇડલી, ચટણી, ખમણ, ઠંડી છાશ અને લસ્સી જેવી વાનગીઓનો સમાવેશ થાય છે. આ સેવા કાર્ય હેઠળ અત્યાર સુધીમાં અંદાજે 1000 થી 1200 જેટલા બાળકોએ આ નાસ્તાનો લાભ લીધો છે. હજુ પણ મોટી સંખ્યામાં બાળકો ફ્લાવર શોની મુલાકાત લઈ રહ્યા છે અને આ સેવાનો આનંદ માણી રહ્યા છે. નવસારીમાં યોજાયેલા આ ફ્લાવર શોથી મુલાકાતીઓમાં ખુશીનો માહોલ છે. ભગુભાઈએ ઉમેર્યું હતું કે, આ આયોજન ખૂબ જ સુંદર છે અને બાળકો ઉત્સાહથી ફૂલોની કલાકૃતિઓ નિહાળી રહ્યા છે. ભવિષ્યમાં પણ નવસારી મહાનગરપાલિકા દ્વારા આવા પ્રોત્સાહક કાર્યક્રમો થતા રહે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 4:20 pm

પાટણમાં પાઈપલાઈન કામગીરીને કારણે પાણી કાપ:ખાલી કેનાલમાં ગંદકી જામતા સફાઈની માંગ ઉઠી

પાટણના પદ્મનાભ ચાર રસ્તા પાસે ભૂગર્ભ ગટર અને પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના કારણે શહેરમાં 28 જાન્યુઆરી 2026 થી 3 ફેબ્રુઆરી 2026 સુધી એક સમય પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પદ્મનાભથી સિદ્ધિ સરોવર સુધીની ખાલી કેનાલમાં જામી ગયેલી ગંદકી સાફ કરવા માટે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે. પદ્મનાભ ચાર રસ્તા વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને નવી પાણીની પાઈપલાઈન પસાર કરવાની વહીવટી કામગીરી ગતિમાં છે. આ ટેકનિકલ કામગીરીના કારણે પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં 28 જાન્યુઆરી 2026 થી 3 ફેબ્રુઆરી 2026 સુધી પાણી પુરવઠામાં ફેરફાર કરાયો છે, જેમાં નાગરિકોને હાલ માત્ર એક ટાઈમ જ પાણી આપવામાં આવી રહ્યું છે. આ કામગીરીને પગલે પદ્મનાભ ચાર રસ્તાથી સિદ્ધિ સરોવર સુધી જતી ખુલ્લી કેનાલમાં પાણીની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. કેનાલ લાંબા સમયથી ખાલી હોવાના કારણે તેમાં મોટા પ્રમાણમાં ગંદકી અને કચરો જમા થયો છે. પાણી વગર ખાલી પડેલી આ કેનાલ અત્યારે કચરાપેટી સમાન બની ગઈ છે. આ સ્થિતિને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સમસ્યાને ધ્યાને રાખીને, ખાલી કેનાલની તાત્કાલિક સફાઈ માટે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. કેનાલ અત્યારે પાણી વગરની હોવાથી સફાઈ કામગીરી સરળતાથી થઈ શકે તેમ છે. પાઈપલાઈનનું કામ પૂર્ણ થાય અને કેનાલમાં ફરી પાણી છોડવામાં આવે તે પહેલાં આ ગંદકી દૂર કરવા માટે યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તેવી માંગ ઉગ્ર બની છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 4:19 pm

જામનગરમાં બસ સળગાવતો યુવક CCTVમાં કેદ:રાત્રે સાડા અગિયાર વાગ્યે બસને દિવાસળી ચાંપીને આરોપી ફરાર, પોલીસે શોધખોળ શરૂ કરી

જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર 24 જાન્યુઆરી, 2026ના રોજ રાત્રે એક ખાનગી બસને આગ ચાંપવામાં આવી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બસ સળગાવનાર શખ્સ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. લક્ઝરી બસમાં રાત્રે 11:30 વાગ્યે આગ લાગી હતીપ્રાથમિક માહિતી અનુસાર, હિરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલ પાસે પાર્ક કરેલી ડેકોર બ્રાસ ઇન્ડિયાની એક લક્ઝરી બસમાં રાત્રે 11:30 વાગ્યે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે બે ટેન્કર પાણીનો ઉપયોગ કરીને આગને કાબુમાં લીધી હતી. બસ કામદારોને લાવવા-લઈ જવા માટે ઉપયોગમાં લેવાતીબસના માલિક કારખાનેદાર નિશાંતભાઈ દોમડીયાએ જણાવ્યું હતું કે આ બસ તેમની ફેક્ટરીના કામદારોને લાવવા-લઈ જવા માટે ઉપયોગમાં લેવાતી હતી. તેમણે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા બસને આગ લગાડવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી હતી અને પોલીસને જાણ કરી હતી. આરોપી સીસીટીવીમાં કેદશરૂઆતમાં આગનું કારણ અકસ્માત માનવામાં આવતું હતું, પરંતુ બાદમાં સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ બસને આગ ચાંપતો સ્પષ્ટ દેખાય છે. સિટી સી. ડિવિઝન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને સીસીટીવીના આધારે આરોપીને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે. જોકે, સીસીટીવીમાં સ્પષ્ટ દેખાતો હોવા છતાં આરોપી હજુ સુધી પોલીસની પકડમાં આવ્યો નથી. આ અંગે સ્થાનિક લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 4:15 pm

ગુજરાત અંડર-19 ભાઈઓની હેન્ડબોલ સ્પર્ધામાં ચેમ્પિયન:સોમનાથમાં રાજસ્થાનને હરાવી ખિતાબ જીત્યો, અગાઉ વુમન્સ ટીમ પણ જીતી હતી

સોમનાથના સદભાવના મેદાન ખાતે આયોજિત 69મી અંડર-19 રાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધામાં ગુજરાતની ટીમે ચેમ્પિયનશીપ જીતી છે. અંતિમ મુકાબલામાં ગુજરાતે રાજસ્થાનને 31-24ના સ્કોરથી પરાજય આપ્યો હતો. આ સ્પર્ધા 27 થી 31 જાન્યુઆરી 2026 દરમિયાન રાજ્ય સરકાર અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) દ્વારા યોજાઈ હતી. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રથમ વખત યોજાયેલી આ રાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધાની ફાઇનલ મેચમાં ગુજરાતના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આક્રમક એટેક અને મજબૂત ડિફેન્સના સમન્વયથી ગુજરાતે મેચની શરૂઆતથી જ લય પકડી રાખી હતી. ઝડપી પાસિંગ અને સચોટ શોટ્સ દ્વારા રાજસ્થાનની ટીમને દબાણમાં લાવી દીધી હતી. સમગ્ર મેચ દરમિયાન ગુજરાતની ટીમે ઉત્સાહ, શિસ્ત અને ટીમવર્કનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રદર્શનના પરિણામે ગુજરાતે 31-24ના સ્કોરથી વિજય મેળવી ખિતાબ પોતાના નામે કર્યો. સ્પર્ધાના અંતિમ પરિણામો અનુસાર, અંડર-19 ભાઈઓની રાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધામાં ગુજરાત પ્રથમ સ્થાને રહ્યું. રાજસ્થાન રનર્સઅપ બન્યું જ્યારે દિલ્હીએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું. વિજેતા અને રનર્સઅપ ટીમોના ખેલાડીઓએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ઉત્તમ રમતગમત ભાવના અને પ્રતિભા દર્શાવી હતી. મેડલ સેરેમની દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તમામ ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્થાનિક ધારાસભ્ય ભગવાન બારડે વિજેતા ટીમ ગુજરાતને રૂ. 10,000 અને રનર્સઅપ રાજસ્થાન તથા સેકન્ડ રનર્સઅપ દિલ્હી ટીમને રૂ. 5,000ના રોકડ પુરસ્કાર આપી ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું. ટૂર્નામેન્ટની શરૂઆતથી જ ગુજરાતની ટીમે પ્રભાવી પ્રદર્શન કર્યું હતું. લીગ મેચમાં ડી.એ.વી. કોલેજ મેનેજિંગ સામે 40-07ના મોટા માર્જિનથી વિજય મેળવી ગુજરાતે ધમાકેદાર શરૂઆત કરી હતી. ત્યારબાદ લીગ અને નોકઆઉટ તબક્કામાં પણ શ્રેષ્ઠ ફોર્મ જાળવી રાખી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભાઈઓની સ્પર્ધા પહેલાં યોજાયેલી અંડર-17 ગર્લ્સ હેન્ડબોલ સ્પર્ધામાં પણ ગુજરાતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઇનલમાં પંજાબને 21-9થી હરાવી ગુજરાતની અંડર-17 ગર્લ્સ ટીમ વિજેતા બની હતી. આમ, ભાઈઓ અને બહેનો બંને કેટેગરીમાં રાષ્ટ્રીય સ્તરે પ્રથમ સ્થાન મેળવી ગુજરાતે પોતાની રમતગમત ક્ષમતાનો પરિચય આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 4:15 pm

રાજકોટ ભાજપના ચાણક્ય રૂપાપરાએ ધમકી આપ્યાના CCTV:સદભાવના મેડિકલ સ્ટોરમા ડુપ્લીકેટ દવાના વેચાણની પોલીસમાં અરજીનો મામલો ગરમાયો, કેમિસ્ટ એસો.એ કહ્યું - કોઈના દબાવમાં આવ્યા વિના નકલી મેડિસિનનું વેચાણ અટકાવીશું

રાજકોટના રાહતદરે દવાઓનું વેચાણ કરતા સદભાવના મેડિકલ સ્ટોરમા ડુપ્લીકેટ દવાનું વેચાણ થતું હોવાની ફરિયાદના મામલામાં હવે રાજકીય રંગ લાગ્યો છે. સદભાવના મેડિકલ સાથે જોડાયેલા રાજકોટ ભાજપના ચાણક્ય ગણાતા રમેશભાઈ રૂપાપરા દ્વારા કેમિસ્ટ એસોસિયેશનના મંત્રીને ધમકી આપ્યાના આક્ષેપોએ ચકચાર જગાવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ પોતે ભાજપમાં હોવા છતાં સામે પડ્યા છે અને ડુપ્લીકેટ દવાનું વેચાણ કરનારાઓ સામે ગુનો દાખલ થાય તેવી માંગ કરી છે. જ્યારે આ બાબતે રૂપાપરાએ કહ્યું કે અમે સસ્તા ભાવે દવાઓનું વેચાણ કરી રહ્યા હોવાથી કેમિસ્ટ એસોસિએશન મેડિકલ સ્ટોર બંધ કરાવવા માંગે છે. જેથી કેમિસ્ટ એસોસિએશન દ્વારા જ ફરિયાદીને સાથે રાખી માલવિયાનગર પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. રાજકોટ કેમિસ્ટ એસોસિયેશનના પ્રેસિડેન્ટ અને ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસીએશનના વાઈસ પ્રેસિડેન્ટ મયુરસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, અમને પેશન્ટ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે સદભાવના મેડિકલ સ્ટોર માંથી લીધેલી દવા ડુપ્લીકેટ હોવાની સંભાવના છે. એક જાગૃત નાગરિક તરીકે તેના દ્વારા એસોસિયેશનને જાણ કરવામાં આવી હતી. જે દવાનું સેમ્પલ લઈ કંપનીમાં મોકલી આપ્યુ હતુ. કંપની દ્વારા એવો રિપોર્ટ આપવામાં આવ્યો કે આ દવા ડુપ્લીકેટ છે અને તેથી સદભાવના મેડિકલ સ્ટોર સામે એક્શન લેવાના થાય છે. જેથી મુંબઈની મેકલોઈડ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા માલવિયા નગર પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. જે દરમિયાન ભાજપના રમેશભાઈ રૂપાપરા કે જેઓ સદભાવના મેડિકલ સ્ટોર સાથે જોડાયેલા છે તેમને એવું લાગ્યું કે કેમિસ્ટ એસોસિએશન દ્વારા આ બધું કરવામાં આવી રહ્યું છે. જેથી 28 જાન્યુઆરીના સાંજે 5:30 વાગ્યા આસપાસ બે વ્યક્તિઓ અમારા એસોસિયેશનના મંત્રી અનિલભાઈ દેસાઈના આદિનાથ ડીસ્ટ્રીબ્યુશનની બહાર રેકી કરવા માટે આવ્યા હતા અને ફોટા પાડી રહ્યા હતા જેથી પૂછવામાં આવ્યું કે શા માટે ફોટા પાડો છો ? જે બાદ તે યુવાનોએ કોઈને ફોન કર્યા બાદ રમેશભાઈ રૂપાપરા ત્યાં કારમાં આવ્યા હતા અને બંને યુવાનોને કારમાં બેસાડી લઈ ગયા હતા. જે બાદ અનિમેષભાઈને કહ્યું હતું કે, આ તમે ખોટું કરી રહ્યા છો જોવા જેવી થશે. જે વાતની મને જાણ થતા મેં રમેશભાઈને ફોન કર્યો અને કહ્યું કે આપણે બંને એક જ ભાજપ પક્ષના સૈનિક છીએ. રાજકોટમાં ડુપ્લીકેટ દવાઓ વેચાતી હોય તો તેને રોકવી અને આ વેચાણ કરનારાઓ સામે ગુનો દાખલ થાય તે પ્રકારની અમારી ફરજ હોય છે અને તેથી તેમાં તમારે સહકાર આપવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સદભાવના મેડિકલ સ્ટોર દ્વારા જેમની પાસેથી દવા લેવામાં આવે તે શાયોના મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી થવી જોઈએ આ ઉપરાંત તે મેડિકલ સ્ટોર દ્વારા સુરતની બીલીવ ઇન્ટરનેશનલ કંપની પાસેથી તે દવા લેવામાં આવી છે અને સુરતની કંપનીએ અમદાવાદની ચંદન એજન્સી પાસેથી દવા લીધી છે તો આ તમામ સામે FIR દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે. કોઈના દબાણમાં અમે આવશું નહીં અને રાજકોટમાં ડુપ્લીકેટ દવાનું વેચાણ અટકાવીને જ રહેશો અને જરૂર પડશે તો કલેક્ટર તંત્રને પણ અમે આ બાબતે રજૂઆત કરશું. જ્યારે આ બાબતે રમેશભાઈ રૂપાપરાનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, સદભાવના મેડિકલ સ્ટોર રાહત દરે દર્દીઓને દવા આપે છે. જે મેડિકલ સ્ટોરને નફો કમાવો હોય તે ડુપ્લીકેટ દવાનું વેચાણ કરે પરંતુ સદભાવના મેડિકલ સ્ટોરમાં કોઈપણ પ્રકારના નફા વિના દવાઓનું વેચાણ કરે છે. જે મેડિકલ સ્ટોર કેમિસ્ટ એસોસિયેશન બંધ કરાવવા માંગે છે. કેમિસ્ટ એસોસિએશનના અનિમેષભાઈ જ ફરિયાદીને લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યું હતુ. ચાર મહિના પહેલા મોટી ટાંકી ચોક પાસેથી જ ડુપ્લીકેટ દવા પકડાઈ હતી તે અંગે કેમિસ્ટ એસોસિએશન ચૂપ છે. જ્યારે સસ્તા ભાવે વેચાણ કરતા અમારા સદભાવના મેડિકલ સ્ટોર સામે વાંધો છે. જેથી બે યુવાનોને ત્યાં જોવા મોકલ્યા હતા તો તેમને બેસાડી દીધા હોવાથી હું તેમને લેવા ગયો હતો. જોકે મેં કોઈ ધમકી આપી નથી.તેમણે જણાવ્યું હતું કે, કેમિસ્ટ એસોસિયેશનના કહેવાથી જ અમને કોઈ દવાઓ આપતું નથી શાયોના મેડિકલ સ્ટોર જ અમને દવાઓ સપ્લાય કરે છે. જોકે હાલ અન્ય મેડિકલ સ્ટોર દવા આપે છે પરંતુ તે રોકડા પૈસાથી આપવાનું કહેવામાં આવ્યું છે. જેથી દર મહિને રૂ.5 કરોડની દવા રોકડા પૈસા આપી લઈએ છીએ. જોકે ડુપ્લીકેટ દવાના વેચાણ સાથે અમે નથી. જેથી તે અંગે પણ અમે તપાસ કરી રહ્યા છીએ. શાયોના મેડિકલ સ્ટોરના હિરેન ભુવાએ જણાવ્યુ હતુ કે, અમે નાનામવા રોડ પર આવેલા સદભાવના મેડિકલ સ્ટોરને દવાનું વેચાણ કરીએ છીએ. જ્યાંથી મિત વેકરીયા નામના વ્યક્તિ 6 મહિના પહેલા મલ્ટી વિટામિન માટેની બાયો ડી3 મેક્સ દવા લઈ ગયા હતા. જે રૂ.429 ની 15 ગોળી આવે છે. જોકે બાદમાં તે દવાથી કોઈ ફેર પડતો નથી અને તે દવા ડુપ્લીકેટ હોવાની ફરિયાદ માલવિયાનગર પોલીસ મથકમાં કરી હતી. જે બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવ્યું હતુ. આ દવા અમે સુરતની બિલિવ ઇન્ટરનેશનલ કંપની પાસેથી લીધી હતી. જોકે પ્રથમ વખત આ કંપનીની દવામાં ફરિયાદ થઈ છે બાકી અત્યાર સુધીમાં એક પણ વખત ફરિયાદ થઈ નથી અને બીજી મહત્વની વાત એ કે દવા લીધાના છ મહિના બાદ અરજદાર દ્વારા ફરિયાદ કરવામાં આવેલી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 4:14 pm

ભાસ્કર એક્સક્લૂસિવ:ગુજરાતના સ્પોર્ટ્સ ઈન્ફ્રા. માટે ₹100 કરોડથી વધુ ફાળવાશે; ઇન્ટર યુનિ. ટૂર્નામેન્ટ, વિજ્ઞાન પ્રવાહના કોલેજિયનો માટે સ્કોલરશિપની બજેટમાં થશે જાહેરાત

ગુજરાત સરકાર દ્વારા હવે રમતગમત ક્ષેત્રને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેની અસર આવનારા બજેટ પર પણ જોવા મળશે. જેમાં સરકાર સ્પોર્ટ્સ ક્ષેત્રે કેટલાક મોટા નિર્ણય લેવા જઈ રહી છે. અગાઉ ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ સહિતની અનેક આંતરરાષ્ટ્રીય અને મહત્વની ટૂર્નામેન્ટોની યજમાની મળ્યા બાદ હવે સરકારી તંત્રએ વર્ષ 2036ના ઓલિમ્પિક્સ પણ ગુજરાતમાં યોજાય તે માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. આવી વૈશ્વિક રમતોમાં ગુજરાતના યુવા ખેલાડીઓ ઉભરી આવે તે દિશામાં સરકાર પહેલ કરવા જઈ રહી છે. ગુજરાતના બજેટમાં કેટલીક મહત્વની જાહેરાતો કરાશેસરકારના ધ્યાને આવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ વચ્ચે રમાતી રમતગમતની સ્પર્ધાઓ બંધ કરી દેવામાં આવી છે. આ ટૂર્નામેન્ટો શા માટે બંધ કરાઈ છે તેની સ્પષ્ટતા નથી, પરંતુ તેને કારણે આશાસ્પદ ખેલાડીઓ યોગ્ય મંચ મેળવી શકતા નથી. આવા ખેલાડીઓની પ્રતિભાને બહાર લાવવા માટે સરકાર દ્વારા આગામી ફેબ્રુઆરીમાં રજૂ થનારા બજેટમાં કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી શકે છે. યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા ઈન્ટર યુનિવર્સિટી સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટ યોજાશેછેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતની યુનિવર્સિટીઓમાં સ્પોર્ટ્સ એક્ટિવિટીનું પ્રમાણ ઘટ્યું છે. જોકે કોલેજ કક્ષાએ વિવિધ રમતો રમાય છે અને અન્ય યુનિવર્સિટીઓમાં મેચ રમવા માટે ખેલાડીઓની પસંદગી પણ થાય છે, પરંતુ યુનિવર્સિટીઓ વચ્ચે પરસ્પર કોઈ ટૂર્નામેન્ટ યોજાતી નથી. અગાઉ આવી સ્પર્ધાઓ યોજાતી હતી, જેમાં યુવા ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવી શકતા હતા. હવે ફરીથી તેઓને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની અને દેશ-દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરવાની તક આપવામાં આવશે. આ હેતુસર આગામી સમયમાં ઈન્ટર યુનિવર્સિટી ટૂર્નામેન્ટોનું આયોજન કરવામાં આવશે. ખેલાડીઓને ટી-શર્ટ, બૂટ વગેરેના ખર્ચ માટે કરોડોની જોગવાઈ થશેઈન્ટર યુનિવર્સિટી ટૂર્નામેન્ટમાં વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લે તે માટે તેમને વિવિધ પ્રકારે પ્રોત્સાહિત કરવામાં આવશે. રોકડ ઇનામ ઉપરાંત મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરાશે. સાથોસાથ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને ટી-શર્ટ, બૂટ અને અન્ય જરૂરિયાતની કીટ યુનિવર્સિટીઓ દ્વારા નિઃશુલ્ક આપવામાં આવશે, જેનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે. આ માટે બજેટમાં કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવશે. સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ₹100 કરોડથી વધુની ફાળવણીઈન્ટર યુનિવર્સિટી ટૂર્નામેન્ટના આયોજન માટે અત્યાધુનિક સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત રહેશે. હાલમાં તમામ યુનિવર્સિટીઓ પાસે પૂરતી સુવિધાઓ નથી. બેડમિન્ટન હોલ, ટેનિસ કોર્ટ, કબડ્ડીનું મેદાન, ટેબલ ટેનિસની વ્યવસ્થા, સ્વિમિંગ પૂલ તેમજ હોકી, ક્રિકેટ અને ફૂટબોલના સ્ટેડિયમો જેવી સુવિધાઓ ઊભી કરવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થશે. આ સુવિધાઓ વિકસાવવામાં યુનિવર્સિટીઓને સહાય કરવા માટે સરકાર ₹100 કરોડથી વધુની જોગવાઈ કરે તેવી સંભાવના છે. સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જરૂર પડ્યે સરકાર દ્વારા ટોકન દરે જમીન પણ ફાળવવામાં આવશે. કોલેજમાં પ્રવેશ મેળવતા સાયન્સના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપધોરણ-12 પાસ કરીને સાયન્સ કોલેજમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની જોગવાઈ કરવાની વિચારણા ચાલી રહી છે. હાલમાં શાળાના વિદ્યાર્થીઓને 'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના' હેઠળ સ્કોલરશિપ આપવામાં આવે છે. કોલેજમાં પ્રવેશ લેતા કોમર્સના વિદ્યાર્થીઓ માટે કેટલીક યોજનાઓ ઉપલબ્ધ છે, પરંતુ સાયન્સ કોલેજમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને કોઈ ખાસ સહાય મળતી નથી. આથી સરકારે આવા વિદ્યાર્થીઓને પણ આર્થિક મદદ આપવાનું નક્કી કર્યું છે. શાળાની યોજનાને અપડેટ કરીને કોલેજમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને વાર્ષિક ₹20 થી 30 હજાર આપવામાં આવે તેવી વિચારણા છે. જો આ નિર્ણય લેવાશે, તો વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા અંદાજે 75 હજાર જેટલા વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 4:13 pm

સાંસદ હેમાંગ જોષીની અનોખી ગૌ સેવા:જન્મદિવસ પર શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળી ગૌ માતા માટે પૌષ્ટિક ઔષધિય લાડુ અર્પણ

વડોદરાના યુવા સાંસદ અને પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો. હેમાંગ જોષીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. ગૌ પ્રેમી એવા હેમાંગ જોષીએ પોતાના જન્મદિન નિમિત્તે શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને ગૌ સેવા દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ સેવાકાર્યમાં તેમના પરિવારજનો પણ ઉત્સાહભેર જોડાયા હતા. ગૌ માતા માટે 75 કિલોની શીરા કેક આ અવસરે ગૌ માતા અને નંદીજી મહારાજ માટે ખાસ 75 કિલો શીરાની ડ્રાયફ્રુટ કેક તૈયાર કરવામાં આવી હતી. આ ઉપરાંત, પૌષ્ટિક આહાર તરીકે વિવિધ પ્રકારના શાકભાજી, ફળો, ઔષધિય લાડુ અને હુંફાળી રોટલીઓને આકર્ષક રંગોળી સ્વરૂપે સજાવીને અર્પણ કરવામાં આવ્યા હતા. 33 કોટી દેવી-દેવતાઓનો જેમાં વાસ છે તેવી ગૌ માતાની પૂજા કરીને તેમણે રાષ્ટ્રની સેવાનું વ્રત પુનરોચ્ચાર્યું હતું. શ્રવણ સેવા ફાઉન્ડેશને તેમના આ વિઝનરી નેતૃત્વ અને સેવાભાવની સરાહના કરતા ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 4:10 pm

સુરતમાં 10 દિવસની બાળકીને વેચવાનો પ્રયાસ કરતી 2 મહિલા ઝડપાઈ:મહારાષ્ટ્રથી માસૂમને લાવી હતી, બેથી અઢી લાખમાં વેચવાનો પ્લાન હતો

અમદાવાદમાંથી બાળ તસ્કરીનો પર્દાફાશ થયા બાદ હવે સુરતમાં પણ 10 દિવસની બાળકીની તસ્કરીનો મામલો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના સંભાજીનગરથી માત્ર 10 દિવસની બાળકીને સુરત લાવી વેચવાનો પ્રયાસ કરી રહેલી 2 મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે. બેથી અઢી લાખ રૂપિયામાં માસૂમ બાળકીનો સોદો કરવાનો પ્લાન હતો. મહિલાઓ દ્વારા અલગ અલગ વ્યકિતઓને મોબાઈલ પર બાળકીના ફોટોગ્રાફ મોકલવામાં આવ્યા હતા. બંને મહિલાઓ મહારાષ્ટ્રથી કોની પાસેથી બાળકી લાવ્યા તેની તપાસ હાલ ચાલી રહી છે. આ પહેલા પણ આ રીતે કોઈ બાળકનો સોદો કરાયો છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. બાતમીના આધારે ફ્લેટમાં દરોડો પાડતા માસૂમ બાળકી મળી આવીક્રાઈમ બ્રાંચના ઇન્સ્પેક્ટર જાડેજા, પીએસઆઈ પઢિયાર અને તેમની ટીમને એક ચોક્કસ હકીકત મળી હતી કે, સુરતના વેડરોડ વિસ્તારમાં 2 મહિલાઓ એક નવજાત બાળકીને ક્યાંકથી લાવી છે અને તેને સુરત શહેરમાં કોઈ ગ્રાહકને વેચવા માટે પ્રયત્નો કરી રહી છે. આ ગંભીર ગુનાની જાણ થતા જ પોલીસે 30/01/2026 ના રોજ વેડરોડ સ્થિત વિશ્રામનગર સોસાયટીના રાંદલ પાર્ક એપાર્ટમેન્ટમાં પ્લોટ નંબર 196, 197 માં આવેલ ફ્લેટ નંબર G/2 માં દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી પોલીસને 10 દિવસની નાનકડી બાળકી મળી આવી હતી, જેની સાથે 2 મહિલાઓ હાજર હતી. બંને મહિલાઓ લાંબા સમયથી એકબીજાના સંપર્કમાંપોલીસે આ કેસમાં જે બે મહિલાઓની અટકાયત કરી છે જેમાં અંજલીબેન નિર્મલભાઈ મિશ્રા (ઉ.વ. 39): જે મૂળ રાયબરેલી, ઉત્તર પ્રદેશની વતની છે અને હાલ સુરતના ચોકબજાર વિસ્તારમાં રહે છે. અંજલી પરચૂરણ મજૂરી કામ કરે છે અને તેને 22 તથા 16 વર્ષના 2 પુત્રો છે અને લક્ષ્મીબેન બાલાજી સોનવણે (ઉ.વ. 44): જે મૂળ મહારાષ્ટ્રના સંભાજીનગર (શીલ્લોડ) ની વતની છે અને હાલ જહાંગીરપુરાના સુમન વંદન આવાસમાં રહે છે. લક્ષ્મી સાડી કટિંગનું કામ કરે છે અને તેને 24 વર્ષનો પુત્ર અને એક પુત્રી છે. આ બંને મહિલાઓ અગાઉ પાડોશમાં રહેતી હોવાથી મિત્રતા ધરાવતી હતી અને લાંબા સમયથી એકબીજાના સંપર્કમાં રહીને ઓનલાઇન ટ્રેડિંગના વ્યવસાય સાથે પણ સંકળાયેલી હોવાનું જાણવા મળ્યું છે. મહારાષ્ટ્રના સંભાજીનગરથી બાળકીને લાવ્યાનું ખૂલ્યુંતપાસમાં બહાર આવ્યું છે કે આ બંને મહિલાઓ સાથે મળીને મહારાષ્ટ્રના ઔરંગાબાદ (સંભાજીનગર) ગઈ હતી અને ત્યાંથી લક્ષ્મીના સંપર્ક દ્વારા આ બાળકીને લાવી હતી. આ મહિલાઓ આ નવજાત બાળકીને 2 થી 2.5 લાખ રૂપિયામાં વેચવા માટે સુરતના અલગ-અલગ 2 થી 3 લોકોનો સંપર્ક કરી રહી હતી. તેમના મોબાઈલ ફોન ચેક કરતા જાણવા મળ્યું કે તેઓએ બાળકીના ફોટા પાડીને સંભવિત ગ્રાહકોને મોકલ્યા હતા. શરૂઆતમાં અંજલીએ બાળકી પોતાની હોવાનું કહી પોલીસને છેતરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હોસ્પિટલના કોઈ કાગળો ન હોવાથી તેનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે પૂછપરછ કરી તો અંજલિએ પોતાની બાળકી ગણાવીડીસીપી ભાવેશ રોઝીયાએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં તેમણે આ બાળકી પોતાનું હોવાનું કીધું, પણ તેમના પોતાના 22 વર્ષ અને 16 વર્ષના બાળક હતા એટલે એ ક્લિયર નહોતું થઈ શકતું અને એના જન્મના કોઈ પુરાવા ના આપી શક્યા. વધુ પૂછપરછ અને મોબાઈલ ચેક કરતા તેમણે એક લક્ષ્મીબેન સોનવણેનું પણ નામ આપવામાં આવ્યું. જે સંભાજીનગર મહારાષ્ટ્રના રહેવાસી છે અને અહીં જહાંગીરપુરા રહે છે.આ બંનેને બાળકી સાથે અહીં લાવી અને આ લોકોની પૂછપરછ કરતા તેમણે આ બાળકી મહારાષ્ટ્ર ઔરંગાબાદ પાસેથી કોઈ પાસેથી મેળવી છે અને આ બાળકીને 2 થી 2.5 લાખ રૂપિયામાં વેચવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા એમને પકડી પાડવામાં આવ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ બાળકી પહેલા પણ ભૂતકાળમાં આ લોકો લાવ્યા હતા, બાળકી વેચવાનું કંઈ કરે છે, ક્યાં ક્યાં પ્રયત્ન કર્યા વગેરે બાબતની તપાસ ચાલી રહી છે આ લોકોની.અંજલી મિશ્રા લેબર જેવું પરચૂરણ કામ કરે છે, એમના હસબન્ડ પણ અહીં ટેક્સટાઈલ અને હીરામાં કામ કરતા હતા, એમના બાળક પણ હીરામાં કામ કરે છે. 22 વર્ષનો મોટો બાળક છે અને 16 વર્ષનો બીજો બાળક છે એટલે બે છોકરાઓ છે, ઓનલાઇન ટ્રેડિંગનું પણ કામ કરે છે. સાથે જે લક્ષ્મી છે એના હસબન્ડની ડેથ થઈ ગઈ છે, એમનો 24 વર્ષનો એક બાળક છે અને એક દીકરી છે. એ પણ ઓનલાઇન ટ્રેડિંગનો બિઝનેસ કરે છે. આ બંને પહેલા આજુબાજુમાં રહેતા હશે એટલે મિત્રતા થયેલી અને ઘણા ટાઈમથી બંને એકસાથે પરિચિતમાં છે. બાળક લાવવાનું કામ લક્ષ્મીના કોન્ટેક્ટથી અંજલી લાવી છે, બંને સાથે લેવા ગયા હતા ઔરંગાબાદ અને ત્યાંથી લાવ્યા છે. બાળકીને ક્યાંથી લાવવામાં આવી?, પોલીસ તપાસ શરૂડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે,તેઓ ઔરંગાબાદથી ક્યાંથી લાવ્યા એ વેરિફાઈ કરી રહ્યા છીએ. હાલમાં એ પૈસાની ના પાડે છે કે પૈસા આપીને નથી લાવ્યા. જ્યાંથી લાવ્યા છે એની ડિટેલ અમને થોડી મળી છે, અમે વેરિફાઈ કરાવી રહ્યા છીએ, ત્યાંનું ઇન્વેસ્ટિગેશન આગળનું ચાલુ છે એટલે હમણાં એ જાહેર નથી કરતા. એમણે વેચવા માટે અલગ અલગ 2 થી 3 લોકોનો સંપર્ક કર્યો છે, મોબાઈલમાં પણ એમણે બાળકના ફોટા મોકલેલા છે તો એ પણ વેરિફાઈ કરી રહ્યા છીએ કે કોને લેવા માટે અને એ માણસોએ પોલીસને કોઈને ઇન્ફોર્મ કેમ ન કર્યું એ બાબતમાં પણ તપાસ કરી રહ્યા છીએ. મહિલા કોન્સ્ટેબલે માતાની જેમ બાળકીને સાચવીમાત્ર 10 દિવસની બાળકીને કોઈ પુરાવા વગર મહારાષ્ટ્રથી સુરત લાવી દેવામાં આવી હતી. સુરત ક્રાઈમ બ્રાંચે તાત્કાલિક બાળકીની તબીબી તપાસ કરાવી હતી. ગત સાંજથી મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આ માસૂમની માતાની જેમ સંભાળ અને સારવાર રાખવામાં આવી રહી છે. હાલમાં બાળકીને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC)ને સોંપવાની અને હોસ્પિટલમાં તેના મેડિકલ ચેકઅપની તજવીજ ચાલુ છે. ભૂતકાળમાં અન્ય કોઈ બાળક લાવ્યા કે નહીં?, પોલીસ તપાસ શરૂસુરત પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ મહિલાઓએ ભૂતકાળમાં પણ આ પ્રકારે કોઈ બાળકોની તસ્કરી કરી છે કે કેમ. મહારાષ્ટ્રમાં તેઓ આ બાળકી કોની પાસેથી લાવ્યા અને ત્યાં કોઈ સંગઠિત ગેંગ કાર્યરત છે કે કેમ, તે વેરિફાઈ કરવામાં આવી રહ્યું છે. જે ગ્રાહકોએ મોબાઈલમાં બાળકીના ફોટા મેળવ્યા છતાં પોલીસને જાણ નહોતી કરી, તેમની સામે પણ તપાસ હાથ ધરાશે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 4:08 pm

પડધરી રેલવે સ્ટેશનનો ₹ 7.59 કરોડના ખર્ચે કાયાકલ્પ:અમૃત ભારત યોજના હેઠળ આધુનિકીકરણ: મુસાફરોને મળશે એરપોર્ટ જેવી સુવિધાઓ

પશ્ચિમ રેલવેના રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરતા એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટને પૂર્ણતાના આરે પહોંચાડવામાં આવ્યો છે. 'અમૃત ભારત સ્ટેશન યોજના' હેઠળ 7.59 કરોડના ખર્ચે પડધરી સ્ટેશનનો વ્યાપક પુનઃવિકાસ કરવામાં આવ્યો છે. હવે આ સ્ટેશન માત્ર આધુનિક સુવિધાઓથી સજ્જ નથી, પરંતુ તેની નવી ભવ્ય સ્થાપત્ય કલા સૌરાષ્ટ્રની રેલ કનેક્ટિવિટીને એક નવી ઓળખ આપી રહી છે. નવી ઇમારત અને આધુનિક કોન્કોર્સ સ્ટેશન પર મુસાફરો માટે 3600 ચોરસ ફૂટમાં ફેલાયેલી ભવ્ય અને આધુનિક સ્થાપત્ય શૈલીની નવી ઇમારત બનાવવામાં આવી છે. આ સાથે જ 1060 ચોરસ ફૂટનો વિશાળ કોન્કોર્સ વિસ્તાર તૈયાર કરાયો છે, જેથી ભીડના સમયે પણ મુસાફરો સરળતાથી અવરજવર કરી શકે. પ્રતીક્ષા માટે 218 ચોરસ ફૂટનો ડીલક્સ વેટિંગ રૂમ બનાવવામાં આવ્યો છે, જેમાં ઉત્તમ વેન્ટિલેશન અને બેસવાની શ્રેષ્ઠ વ્યવસ્થા છે. પ્લેટફોર્મ કનેક્ટિવિટી અને સુરક્ષા મુસાફરોની સુરક્ષા માટે પ્લેટફોર્મ 1 અને 2 ને જોડતો 12 ફૂટ પહોળો નવો ફૂટ ઓવર બ્રિજ (FOB) કાર્યરત કરવામાં આવ્યો છે. મુસાફરોને તડકા અને વરસાદથી બચાવવા માટે પ્લેટફોર્મ પર 5370 ચોરસ ફૂટનો વિશાળ કવર શેડ નાખવામાં આવ્યો છે. રાત્રિના સમયે સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સમગ્ર પરિસરમાં હાઈ-માસ્ટ લાઈટિંગ અને નવા ઇલેક્ટ્રિક પોલ સ્થાપિત કરવામાં આવ્યા છે. દિવ્યાંગજન અને વડીલો માટે વિશેષ સુવિધા આ સ્ટેશનને સંપૂર્ણપણે 'યુનિવર્સલ ડિઝાઇન' હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. દિવ્યાંગો અને વડીલો માટે ટેક્ટાઈલ ટાઈલ્સ, વિશેષ સાઈન બોર્ડ, હેન્ડરેલ્સ અને સમર્પિત પાર્કિંગ સ્લોટની સુવિધા ઊભી કરવામાં આવી છે. વાહનોના પાર્કિંગ માટે 1550 ચોરસ ફૂટનો અલગ વિસ્તાર અને મુસાફરોની સુવિધા માટે 1140 ચોરસ ફૂટનું આધુનિક શૌચાલય સંકુલ પણ બનાવવામાં આવ્યું છે. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, પડધરી સ્ટેશનનો આ પુનઃવિકાસ મુસાફરો માટે ગૌરવપૂર્ણ મુસાફરીના નવા માપદંડ સ્થાપિત કરશે. બહેતર પ્રકાશ વ્યવસ્થા, સ્વચ્છ પરિસર અને સુવ્યવસ્થિત એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સથી મુસાફરીનો અનુભવ વધુ સુખદ બનશે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 4:00 pm

લ્યો બોલો! હવે SOG કર્મચારીની જ ધરપકડ:સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ASIની SMCએ ધરપકડ કરી, હેરોઇન ડ્રગ્સ કેસમાં સંડોવણી આવતા કાર્યવાહી

ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વડોદરા રેલ્વે સ્ટેશન પરથી જપ્ત કરાયેલા હેરોઈન ડ્રગ્સ કેસમાં મોટો વળાંક આવ્યો છે. તપાસ દરમિયાન વડોદરા શહેરની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ બ્રાન્ચમાં ફરજ બજાવતા એક પોલીસ કર્ણચારીની સીધી સંડોવણી સામે આવી છે, જેના પગલે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ કેસ NDPS એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. 48 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યોગત 9 જાન્યુઆરીના રોજ SMC પોલીસ સ્ટેશનમાં વડોદરા રેલ્વે સ્ટેશન પરથી 239 ગ્રામ 940 મિલિગ્રામ હેરોઈન અને અન્ય વસ્તુઓ સાથે કુલ 48,07,090નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ કેસમાં મુખ્ય આરોપી અમરીકસિંહ ઉર્ફે સોનુ સરવણસિંહ દિલીપસિંહ મલ્હી (ઉંમર 37, રહેવાસી: એ-3, ગુરુનાનકનગર, છાણી જકાતનાકા, વડોદરા)ને પકડવામાં આવ્યો હતો, જ્યારે હેરોઈન સપ્લાય કરનાર વ્યક્તિને વોન્ટેડ જાહેર કરાયો છે. આરોપી અધિકારી પાસેથી તપાસ માટે ત્રણ મોબાઈલ જપ્ત કરાયાતપાસ દરમિયાન SMCની ટીમને જાણવા મળ્યું કે, SOG બ્રાન્ચના અનઆર્મ્ડ એસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર લક્ષ્મીકાંત ભીખુભાઈ દેસાઈ (ઉંમર 57, રહેવાસી: સનમિલન સોસાયટી, શુભાનપુરા, હાઈટેન્શન રોડ, વડોદરા)ની આરોપી અમરીકસિંહ સાથે સીધી ગુનાહિત કડી છે. પુરાવા આધારે આજે તેમની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અધિકારી પાસેથી તપાસ માટે ત્રણ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસની તપાસ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ડી.એ. તુવર દ્વારા LLM ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આરોપી અધિકારીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે. જો તપાસમાં અન્ય વ્યક્તિઓની સંડોવણી સામે આવશે તો તેમની સામે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ વડોદરા શહેરની DCBમાં ફરજ બજાવતા હતાઆરોપી ASI લક્ષ્મીકાંત દેસાઈ અગાઉ વડોદરા શહેરની DCBમાં ફરજ બજાવતા હતા. તે સમયે તેઓ ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાના પુરાવા મળ્યા હતા, જેના કારણે તેમને કચ્છ-ગાંધીધામમાં ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી પણ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:59 pm

રાજકોટ મનપા કચેરીમાં પોલીસનું હેલ્મેટ ચેકીંગ:સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું- કચેરીના પ્રાંગણમાં આ રીતે ચેકિંગ યોગ્ય નથી, પોલીસ કમિશનરને ફોન કરતા તરત જ કામગીરી સ્થગિત

રાજકોટ શહેરની મધ્યમાં આવેલ મહાનગરપાલિકાની કચેરી આજે અચાનક ચર્ચાના કેન્દ્રમાં આવી હતી. સામાન્ય રીતે કચેરીમાં વહીવટી કામકાજ ચાલતું હોય છે પરંતુ, આજે સવારના સમયે અચાનક અહીં ટ્રાફિક પોલીસની ટુકડીઓ કચેરીના પ્રાંગણમાં ધસી આવતા અને વાહન ચાલકોનું હેલ્મેટ ચેકિંગ શરૂ કરતા વાતાવરણ ગરમાયું હતું. આ કામગીરીને પગલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક પોલીસ કમિશનરને ફોન કરીને આ ચેકીંગ ડ્રાઈવ કચેરીનાં પ્રાંગણ બહાર રાખવા વિનંતી કરી હતી. જેને પગલે તરત જ પોલીસ કમિશનરનાં આદેશથી પોલીસ કર્મચારીઓ ત્યાંથી નીકળી ગયા હતા. હેલ્મેટ વગરના વાહન ચાલકોને અટકાવી દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવીપ્રાપ્ત વિગત મુજબ મનપા કચેરીમાં દરરોજ સેંકડો નાગરિકો પોતાના વિવિધ કામો માટે આવતા હોય છે. આજે સવારે જ્યારે લોકો ટેક્સ ભરવા, જન્મ-મરણના દાખલા લેવા કે અન્ય વહીવટી કામો માટે કચેરીએ પહોંચ્યા ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વગરના વાહન ચાલકોને અટકાવી દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. કચેરીના કમ્પાઉન્ડમાં જ પોલીસની આ કામગીરી જોઈને મુલાકાતીઓ અને કર્મચારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો. એકાદ કલાક ચાલેલી ચેકીંગ ડ્રાઈવમાં અનેક નાગરિકો તેમજ મનપાનાં કર્મચારીઓ પણ દંડાયાસ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર કચેરીએ પહોંચ્યા ત્યારે તેમણે આ દૃશ્ય જોયું અને તાત્કાલિક પોલીસ કમિશનર સાથે વાતચીત કરી હતી. જેને લઈને પોલીસ કમિશનરનો આદેશ મળતા કચેરીના પ્રાંગણમાં ચાલતી હેલ્મેટ ચેકીંગ ડ્રાઈવ તરત જ બંધ કરવામાં આવી હતી. જોકે, સવારે એકાદ કલાક ચાલેલી ચેકીંગ ડ્રાઈવમાં અનેક નાગરિકો તેમજ મનપાનાં કર્મચારીઓ પણ દંડાયા હતા. પરંતુ સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા આ ચેકીંગ ડ્રાઈવ રોકી દેવામાં આવતા અનેક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કચેરીની અંદર લોકો માનસિક રીતે કામ માટે આવ્યા હોય સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે આ અંગે જણાવ્યું કે, પોલીસ દ્વારા હેલ્મેટની ડ્રાઈવ ચલાવવી એ કાયદાકીય બાબત છે અને સુરક્ષા માટે જરૂરી છે, પરંતુ કચેરીના પ્રાંગણમાં આવી રીતે ચેકિંગ કરવું તે યોગ્ય નથી. મનપા કચેરીમાં અનેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાના કામ માટે આવતા હોય છે, તેમને આ રીતે હેરાન કરવા તે વ્યાજબી નથી. કોઈપણ સરકારી કચેરીના પરિસરમાં આવી કાર્યવાહી કરવાને બદલે જો પોલીસને ડ્રાઈવ કરવી જ હોય તો શહેરના સર્કલ કે મુખ્ય રસ્તાઓ પર કરી શકે છે. કચેરીની અંદર લોકો માનસિક રીતે કામ માટે આવ્યા હોય ત્યારે આ પ્રકારનું ચેકિંગ તેમને પરેશાનીમાં મૂકે છે. જયમીન ઠાકરે પોલીસ કમિશનરનો આભાર માન્યો આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને મેં તુરંત રાજકોટ પોલીસ કમિશનરનો સંપર્ક કર્યો હતો અને તેમને વિનંતી કરી હતી કે, મનપા કચેરીના પ્રાંગણમાંથી આ ચેકિંગ ડ્રાઈવ હટાવી લેવામાં આવે તેમજ આ દંડની કાર્યવાહી કચેરીના ગેટની બહાર અથવા અન્ય જાહેર માર્ગો પર કરવામાં આવે. પોલીસ કમિશનરે પણ પરિસ્થિતિને સમજીને તાત્કાલિક સૂચના આપી હતી, જેના પગલે કચેરીમાં ચાલતું ચેકિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરે આપેલા આ સહકાર બદલ જયમીન ઠાકરે પોલીસ કમિશનરનો આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:58 pm

ક્ષત્રિય સમાજના દીર્ઘકાલીન આંદોલનને સફળતા:'પદ્માવત' મૂવીના વિરોધના કેસો પરત ખેંચાયા, ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો

2017-18માં ફિલ્મ 'પદ્માવત' વિરુદ્ધ થયેલા ઉગ્ર આંદોલન દરમિયાન ક્ષત્રિય સમાજના યુવાનો પર નોંધાયેલા પોલીસ કેસો પરત ખેંચવાની મોટી સફળતા મળી છે. ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમારની આગેવાની હેઠળ ચાલેલા લાંબા સમયના પ્રયાસો અને ગુજરાત સરકારના સહયોગથી મહેસાણા જિલ્લાના 11 જેટલા સેશન્સ કેસો પરત ખેંચાઈ ગયા છે. આ કેસોમાં મહેસાણા સેશન્સ કોર્ટમાં નંબર 54/2018, 36/2019, 02/2020, 06/2020, 204/2021, 156/2018, 157/2018, 96/2019, 48/2019, 49/2020 અને 136/2023 જેવા મુખ્ય કેસોનો સમાવેશ થાય છે. આ બધા કેસોમાં સરકાર તરફથી કોર્ટમાં અરજી રજૂ કરવામાં આવી હતી, જેને કોર્ટે માન્ય રાખીને કેસો પરત ખેંચવાની મંજૂરી આપી છે. અમદાવાદ ખાતેના કેટલાક કેસો હજુ પેન્ડિંગ છે અને તેની કાર્યવાહી ચાલુ છે. આંદોલન કોઈ વ્યક્તિ કે સરકાર વિરુદ્ધ નહોતું સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' (પછી 'પદ્માવત')માં ક્ષત્રિય સમાજની સંસ્કૃતિ, સંસ્કારો અને રાજપૂત નારીના ચિત્રણને લઈને સમગ્ર દેશમાં વિરોધ થયો હતો. ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજના યુવાનોએ ઉગ્ર આંદોલન કર્યું હતું. આ આંદોલન કોઈ વ્યક્તિ કે સરકાર વિરુદ્ધ નહોતું પરંતુ, ફિલ્મ દ્વારા ક્ષત્રિય સમાજને બદનામ કરવાના પ્રયાસ વિરુદ્ધ હતું. આ દરમિયાન દેખાવો અને ઉશ્કેરાટમાં યુવાનો પર અનેક પોલીસ કેસ નોંધાયા હતા. ક્ષત્રિય આગેવાનોની મહેનત રંગ લાવીઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમારની આગેવાનીમાં શ્રી રાજપૂત કરણી સેનાના પ્રમુખ વિરભદ્રસિંહ જાડેજા, મહાકાલ સેનાના પ્રમુખ વિજયસિંહ ચાવડા, રાજપૂત વિદ્યાસભાના પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયા સહિત 50થી વધુ સામાજિક સંસ્થાઓ અને 1000થી વધુ આગેવાનોએ આ મુદ્દે સતત રજૂઆતો કરી હતી. તા. 15 જુલાઈ, 2025ના રોજ સ્વર્ણિમ સંકુલના નર્મદા હોલમાં તત્કાલીન કાયદામંત્રી ઋષિકેશભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરવામાં આવી હતી. તા. 7 ઓક્ટોબર, 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે. દાસની ઉપસ્થિતિમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કેસો પરત ખેંચવાની ખાતરી આપી હતી. કાનૂની લડતમાં મહત્વનો ભાગઆ સમગ્ર કેસોમાં ક્ષત્રિય સમાજના નિઃશુલ્ક વકીલ જયદેવસિંહ ચાવડા (મહેસાણા) અને મહેન્દ્રસિંહ જાડેજા (અમદાવાદ)એ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે કોર્ટમાં રજૂઆતો અને કાનૂની પ્રક્રિયા સંભાળી હતી. સમાજનો આભાર વ્યક્ત કર્યોઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમારે ગુજરાત સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને ઉર્જા તથા પંચાયત મંત્રી ઋષિકેશભાઈ પટેલનો જાહેર આભાર વ્યક્ત કર્યો છે. તેઓએ તમામ ક્ષત્રિય આગેવાનો, સંસ્થાઓ અને નિઃશુલ્ક વકીલોનો પણ આભાર માન્યો છે. આ સફળતા ક્ષત્રિય સમાજની એકજૂટતા અને સરકારના સહયોગનું પરિણામ ગણાવવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:55 pm

કર્ણાવતીમાં માતૃશક્તિ-દુર્ગાવાહિનીની અખિલ ભારતીય બેઠક:દેશભરની 350થી વધુ મહિલા શક્તિઓ એકત્ર: રાષ્ટ્ર નિર્માણ અને સશક્તિકરણનો હુંકાર

કર્ણાવતીના દસ્કોઈ સ્થિત નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ, પીરાણા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત 'માતૃશક્તિ દુર્ગાવાહિની'ની બે દિવસીય અખિલ ભારતીય બેઠકનો ભવ્ય પ્રારંભ થયો છે. દેશભરના વિવિધ પ્રાંતોમાંથી આવેલી 350થી વધુ બહેનો અને સંગઠનના ઉચ્ચ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં શરૂ થયો હતો. કાર્યક્રમની શરૂઆત મા દુર્ગાની સ્તુતિ અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. શક્તિ વિના જગતની કલ્પના અશક્ય ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત સંતગણ સ્વામી પરપ્રજ્ઞાનંદા સરસ્વતીએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, શક્તિ દ્વારા જ જગતની ઉત્પત્તિ અને પાલન થાય છે. તેમણે જાગૃત સ્ત્રીશક્તિની વિશાળ ઉપસ્થિતિ જોઈને આનંદ વ્યક્ત કર્યો અને દરેક મહિલા રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું સક્રિય યોગદાન આપે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. કાર્યક્રમની પ્રસ્તાવના મુખ્ય વ્યવસ્થા પ્રમુખ અને કેન્દ્રીય માતૃશક્તિ સહ સંયોજિકા સરોજ સોનીએ રજૂ કરી હતી. સામાજિક મૂલ્યો અને મહિલા સશક્તિકરણ મુખ્ય વક્તા અને વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે 'ભારતના વિકાસમાં મહિલાઓનું યોગદાન' વિષય પર સંબોધન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સામાજિક મૂલ્યો જળવાઈ રહે તેવો સર્વાંગી વિકાસ અનિવાર્ય છે. મહિલાઓએ પરિવારની જવાબદારીની સાથે રાષ્ટ્ર નિર્માણમાં પણ સક્રિય થવું જોઈએ. વર્તમાન સમયમાં આધ્યાત્મિક જાગૃતિ અને સશક્તિકરણ અત્યંત આવશ્યક છે. દુર્ગાવાહિની દ્વારા બહેનોમાં સાહસ અને સંસ્કારનું સિંચન કરવામાં આવી રહ્યું છે, જે ઉજ્જવળ ભવિષ્યનો પાયો બનશે. વિવિધ સ્તરના અધિકારીઓની ઉપસ્થિતિ આ બેઠકમાં વિનાયક રાવ દેશપાંડે, ગોવિંદ શિંદે, મીનાક્ષી તાઈ પિશ્વે, મીનાબેન ભટ્ટ, પ્રજ્ઞા મહાલા, અશ્વિન પટેલ અને હર્ષદભાઈ ગિલેટવાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પિંકી પવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ આયોજનને સફળ બનાવવા માટે કલ્પનાબેન વ્યાસ, જવાનિકા બહેન ભટ્ટ, નુપુરબેન પટેલ અને હિતેશ ઠક્કર સહિતની સ્થાનિક સમિતિએ ભારે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:53 pm

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ:કચ્છનું છારી-ઢંઢ હવે રામસર સાઇટ; રાજ્યમાં હવે 5 આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ્સ

કચ્છના રણની મધ્યમાં આવેલું અને પક્ષીઓના સ્વર્ગ તરીકે જાણીતું ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર કરવામાં આવ્યું છે. 2 ફેબ્રુઆરી, 2026ના રોજ ઉજવાનારા ‘વિશ્વ વેટલેન્ડ્સ દિવસ’ પૂર્વે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર આ મહત્વની જાહેરાત કરી છે. છારી-ઢંઢની સાથે ઉત્તરપ્રદેશના પટના પક્ષી અભયારણ્યને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. આ સિદ્ધિ સાથે જ ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા વધીને 5 થઈ ગઈ છે, જ્યારે ભારતનું રામસર નેટવર્ક 2014માં 26 સ્થળોથી વધીને હવે 98 સ્થળોએ પહોંચ્યું છે. કચ્છનું પ્રથમ અને ગુજરાતનું પાંચમું રતન ગુજરાત અગાઉથી જ નળસરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણા જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રામસર સાઇટ્સ ધરાવે છે. હવે છારી-ઢંઢ આ યાદીમાં જોડાનાર ગુજરાતનું પાંચમું અને કચ્છ જિલ્લાનું પ્રથમ વેટલેન્ડ બન્યું છે. વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ, જૈવ-વિવિધતા અને સ્થાનિક પ્રવાસન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવશે. નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર વેટલેન્ડ સંવર્ધન માટે સતત કાર્યરત છે. વેટલેન્ડ સંરક્ષણમાં ગુજરાત દેશમાં મોખરે ભારતના કુલ વેટલેન્ડ ક્ષેત્રફળના 21 ટકા હિસ્સો એકલું ગુજરાત ધરાવે છે, જે દેશના તમામ રાજ્યોમાં સૌથી વધુ છે. રાજ્યમાં અંદાજે 3.5 મિલિયન હેક્ટર વિસ્તારમાં વેટલેન્ડ્સ ફેલાયેલા છે, જે ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારના 17.8 ટકા જેટલો ભાગ રોકે છે. રાજ્યમાં 8 રાષ્ટ્રીય વેટલેન્ડ્સ અને 19 એવા વિસ્તારો છે જે પક્ષીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગાંધીનગર સ્થિત ગીર ફાઉન્ડેશન આ નિવસનતંત્રોના સંશોધન અને દસ્તાવેજીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. છારી-ઢંઢ: પક્ષીઓ અને વન્યજીવોનું કુદરતી ઘર કચ્છી ભાષામાં ‘છારી’ એટલે ક્ષારવાળી અને ‘ઢંઢ’ એટલે છીછરું સરોવર. અંદાજે 227 ચોરસ કિલોમીટર (22,700 હેક્ટર) વિસ્તારમાં ફેલાયેલું આ વેટલેન્ડ બન્નીના ઘાસના મેદાનો અને રણની વચ્ચે આવેલું છે. વર્ષ 2008માં તેને ગુજરાતનું પ્રથમ ‘કન્ઝર્વેશન રિઝર્વ’ જાહેર કરાયું હતું. અહીં પક્ષીઓની 250થી વધુ પ્રજાતિઓ નોંધાયેલી છે. શિયાળા દરમિયાન સાઇબેરિયા, મધ્ય એશિયા અને યુરોપથી 25,000થી 40,000 જેટલા કોમન ક્રેન (કુંજ), મળતાવડી ટીટોડી અને ચોટીલી પેણ અહીં મુકામ કરે છે. આ ઉપરાંત લુપ્તપ્રાય ડાલમેશિયન પેલિકન, ફ્લેમિંગો (હંજ), સારસ અને શિકારી પક્ષીઓ માટે પણ આ આદર્શ આશ્રયસ્થાન છે. માત્ર પક્ષીઓ જ નહીં, પણ ચિંકારા, ડેઝર્ટ ફોક્સ, હેણોતરો અને વરુ જેવા વન્યજીવો પણ અહીં વસે છે. વૈશ્વિક ઓળખથી સ્થાનિક વિકાસના દ્વાર ખુલશે રામસર સાઇટનો દરજ્જો મળવાથી છારી-ઢંઢને હવે આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ ભંડોળ અને ટેકનિકલ સહાય મળશે. વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું કે, આનાથી કચ્છમાં ઈકો-ટુરિઝમને મોટું પ્રોત્સાહન મળશે, જેના કારણે સ્થાનિક સમુદાય માટે રોજગારીની નવી તકો ઊભી થશે. આ સિદ્ધિ મેળવવામાં ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન જયપાલ સિંઘ અને તેમની ટીમનું યોગદાન નિર્ણાયક રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:47 pm

‘ડ્રાઇવર ફોન પર વાત કરતાં કરતાં કોણીથી બસ ચલાવતો હતો’:લગ્ન કરીને આવી રહેલા વરરાજા માંડ માંડ બચ્યા, NH-48 પર લકઝરી ટ્રકમાં ઘૂસી; 2 દિવસમાં 3નાં મોત

વડોદરા પાસેથી પસાર થતો નેશનલ હાઇવે 48 જાણે મોતનો હાઇવે બની ગયો હોય એમ એક બાદ એક ગમખ્વાર અકસ્માત સર્જાઇ રહ્યા છે. ગઈકાલે કરજણ-ધાવટબ્રિજ બાદ આજે(31 જાન્યુઆરી) ફરી બામણગામ પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે, જેમાં એક ખાનગી લક્ઝરી બસ આગળ જતી ટ્રકમાં ધડાકાભેર ટકરાઈ હતી. અકસ્માતમાં ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત થયું છે અને 20થી વધુ લોકોને નાનીમોટી ઇજાઓ પહોંચી છે, જ્યારે બેથી વધુ લોકો ગંભીર હોવાનું સામે આવ્યું છે. સતત બીજા દિવસે અકસ્માતના કારણે બે દિવસમાં ત્રણનો ભોગ લેવાયો છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત એક વરરાજાએ જણાવ્યું કે ડ્રાઇવર ફોન પર વાત કરતો હતો અને કોણીથી બસ ચલાવતો હતો. બાદમાં બધા સૂઈ ગયા અને અચાનક આગળ ચાલતા ટ્રકમાં બસ ઘૂસી ગઈ હતી. અમરેલીથી સુરત જતી લકઝરીનો અકસ્માતલકઝરી અમરેલીથી સુરત તરફ જઈ રહી હતી એે દરમિયાન ડ્રાઇવરની બેદરકારીના કારણે બસ આગળ જતી ટ્રકમાં ધડાકાભેર ઘૂસી જતાં બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. એમાં ડ્રાઈવર ફસાયો હતો, જેથી કરજણ ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ વિવિધ સાધનોની મદદથી રેસ્ક્યૂ કરી મૃતદેહ બહાર કાઢ્યો હતો. લકઝરીનો આગળનો ભાગ કાપી મૃતદેહ બહાર કાઢ્યોલકઝરીનો આગળનો ભાગ ડેમેજ હોવાથી રેમજેક મશીન અને વિવિધ સાધનોની મદદથી આગળનો ભાગ કાપી મૃતદેહ બહાર કાઢ્યો હતો. અકસ્માતને કારણે ટ્રાફિકજામઆ અકસ્માતને લઈ કરજણ પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. અકસ્માતને કારણે હાઇવે પર રેસ્ક્યૂ અને બચાવ કામગીરીને કારણે ટ્રાફિકને રોકવામાં આવ્યો હતો. ડ્રાઇવર ફોન પર વાત કરતા કરતાં ડ્રાઇવિંગ કરતો હતો: ઈજાગ્રસ્ત પ્રિન્સ સોમણિયાઆ અંગે ઈજાગ્રસ્ત પ્રિન્સ સોમણિયાએ જણાવ્યું હતું કે, અમે અમરેલીથી લગ્ન પતાવીને આવતા હતા. આ બસનો ડ્રાઈવર રફ ડ્રાઇવિંગ કરતો હતો. આ અંગે અમે ડ્રાઇવરને જણાવ્યુ કે શાંતિથી ડ્રાઇવિંગ કરો પરંતુ તે રફ ચલાવતો હતો. આ બાબતે અમે આ બસના સંચાલકને પણ જાણ કરી હતી. બાદમાં બધા સૂઈ ગયા હતા અને અચાનક આગળ ચાલતા ટ્રકમાં બસ ઘૂસી ગઈ હતી. 30 જાન્યુઆરી, 2026એ કરજણ-ધાવટ ચોકડી પાસેના બ્રિજ પર ઊભેલી ટ્રકને લકઝરીએ ટક્કર મારી 30 જાન્યુઆરી, 2026ની વહેલી સવારે વડોદરા જિલ્લાના કરજણ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર ઔરંગાબાદથી અમદાવાદ તરફ આવતી જય ખોડિયાર ટ્રાવેલ્સની બસ કરજણ ધાવટ ચોકડી પાસેના બ્રિજ પર સાઇડમાં ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. બાદમાં ફાયરને જાણ કરતાં તાત્કાલિક કરજણ ફાયર સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું. આ અકસ્માતમાં બે લોકોનાં મોત અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ લોકો લોહીલુહાણ હાલતમાં રોડ પર બેસેલા જોવા મળ્યા હતા તથા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. સ્થિતિ એટલી ગંભીર હતી કે ફાયરના જવાનોએ બસમાં જઈ સ્ટ્રેચરની લપસણી બનાવી મૃતદેહ બહાર કાઢ્યા હતા. 29 જાન્યુઆરી, 2026એ વડોદરાના NH-48 પર ટ્રેલર દુકાનમાં ઘૂસ્યુંનંદેસરી પોલીસ મથક હદમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ખેડા તરફથી તામિલનાડુ જઈ રહેલું લોખંડની એંગલ્સ ભરેલું ટ્રેલર સાંકરદાબ્રિજ પાસે રોંગ સાઈડમાં આવતું હતું. ચાલકે સ્ટીયરિંગ પરથી એકાએક કાબૂ ગુમાવતાં ટ્રેલર દુર્ગા એસ્ટેટના ગેટ પાસે આવેલી ડ્રાય ફ્રૂટ્સની દુકાન પાસે ધડાકાભેર ટકરાઈ ગયું હતું. અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ ટક્કર એટલી ભયાનક હતી કે દુકાનની બાજુના રૂમની દીવાલ તૂટી પડી હતી. રૂમમાં આરામ કરી રહેલા અમિતકુમાર રામ નામની એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટ્રેલરચાલકને પણ ઈજાઓ થતાં તેમને પણ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. રૂમમાં સૂતા અન્ય છ લોકો બહાર નીકળી જવાથી આબાદ બચી ગયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 28 જાન્યુઆરી, 2026એ NH-48 પર સુંદરપુરા ગામ પાસે એક કારે બાઇકને પાછળથી ટક્કર મારી 28 જાન્યુઆરી, 2026એ વડોદરા શહેર પાસેથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં નેશનલ હાઈવે-48 પર આવેલા સુંદરપુરા ગામ પાસે એક કાર બાઇકને પાછળથી ધડાકાભેર અથડાય છે અને ત્યાર બાદ બાઈક સાથે રોડની બાજુમાં ઊતરી પલટી મારી જાય છે. આ ઘટનામાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર બનાવના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:42 pm

આણંદ મનપાએ આડેધડ પાર્કિંગ સામે કાર્યવાહી કરી:મુખ્ય માર્ગો પરથી 30 વાહનો લોક કરાયા, દંડ વસૂલાશે

આણંદ મહાનગરપાલિકાના કમિશનરની સૂચના બાદ મુખ્ય સ્ટેશન રોડ પર આડેધડ પાર્કિંગ કરીને ટ્રાફિક સમસ્યા ઊભી કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સમગ્ર મનપા વિસ્તારમાં નો-પાર્કિંગ ઝોનમાં વાહનો મૂકનારાઓના વાહનો લોક કરીને દંડ વસૂલવામાં આવશે. કમિશનરની સૂચનાને પગલે, મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમે આજે સ્ટેશન રોડ વિસ્તારમાં કાર્યવાહી કરી. નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોને લોક કરવામાં આવ્યા હતા. દરેક વાહન માલિક પાસેથી ₹200નો દંડ વસૂલવામાં આવશે. મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે નગરજનોને અપીલ કરી છે કે તેઓ પોતાના વાહનો નો-પાર્કિંગ ઝોનમાં ન મૂકે. ટ્રાફિક સમસ્યા ઊભી ન થાય અને અન્ય લોકોને અગવડ ન પડે તે રીતે આડેધડ પાર્કિંગ કરવાનું ટાળવા પણ જણાવાયું છે. મહાનગરપાલિકા દ્વારા હવે ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ નિયમિત ચેકિંગ કરવામાં આવશે. નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલા વાહનોને લોક કરીને તેમના માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. કમિશનરના માર્ગદર્શન હેઠળ, મનપા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા દૂર થાય અને મુખ્ય રસ્તાઓ પરથી અવરજવર કરતા નગરજનોને આડેધડ પાર્કિંગને કારણે થતી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવાનો હેતુ છે. નગરજનોને તેમના વાહનો નિયમ અનુસાર વ્યવસ્થિત રીતે માત્ર પાર્કિંગ ઝોનમાં જ મૂકવા વિનંતી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:42 pm

હિંમતનગરમાં આયુષ મેળો યોજાયો, 550થી વધુ લોકોએ લાભ લીધો:ધારાસભ્યએ નિદાન કેમ્પ ખુલ્લો મૂક્યો, નિઃશુલ્ક તપાસ અને દવા અપાઈ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય અંતર્ગત નિયામક આયુષ કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, હિંમતનગર દ્વારા આયુષ મેળો અને આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંમતનગરના ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલાના હસ્તે આ કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે શામળાજી વિષ્ણુ મંદિરના ટ્રસ્ટી સિદ્ધાર્થ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ આયુષ મેળો અને નિદાન સારવાર કેમ્પ અંતર્ગત સામાન્ય જનતાને નિઃશુલ્ક આરોગ્ય તપાસ, રોગ નિદાન, તબીબી સલાહ તેમજ આયુર્વેદિક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સ્વસ્થ જીવનશૈલી, રોગપ્રતિકારક શક્તિ વધારવા તથા આયુષ પદ્ધતિઓ અંગે આરોગ્ય જાગૃતિ માટે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આયુષ પદ્ધતિઓ જેવી કે આયુર્વેદ, યોગ અને હોમિયોપેથીના પ્રચાર-પ્રસાર અને જનસ્વાસ્થ્ય સંવર્ધનમાં તેના યોગદાન અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાગરિકોને આયુષ આધારિત આરોગ્ય સેવાઓનો વ્યાપક લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં 550થી વધુ લોકોએ લાભ લીધો હતો. ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન સેજલબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, ડૉ. પ્રકાશ પંચાલ, હિંમતનગર ઉમિયા મંદિરના ટ્રસ્ટીઓ શાંતુ પટેલ, રામ પટેલ અને પરેશ પટેલ, ડૉ. અવનીબેન ચૌધરી, સરકારી આયુર્વેદ હોસ્પિટલના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:40 pm

SIRમાં રાજ્યભરમાં 14.70 લાખ ફોર્મ, અમદાવાદ ટોપ પર:30 જાન્યુઆરીએ દાવો-વાંધાની મુદત પૂર્ણ, 10 ફેબ્રુઆરી સુધી નિકાલ

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) અંતર્ગત રાજ્યભરમાં કુલ 14,70,125 ફોર્મ પ્રાપ્ત થયા છે. તા. 01.01.2026ની લાયકાત તારીખના આધારે હાથ ધરાયેલી આ પ્રક્રિયામાં ફોર્મ નં. 6 – 7,25,920, ફોર્મ નં. 7 – 1,83,235 અને ફોર્મ નં. 8 – 5,60,970 અરજીઓ મળી છે. તમામ ફોર્મની ચકાસણી કરી 10 ફેબ્રુઆરી સુધીમાં નિકાલ કરાશેરાજ્યમાં 27 ઓક્ટોબર, 2025થી શરૂ થયેલી SIR ઝુંબેશ બાદ 19 ડિસેમ્બર, 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. નાગરિકોને દાવો-વાંધા રજૂ કરવાની મુદત અગાઉ 18 જાન્યુઆરી, 2026 સુધી હતી, જેને બાદમાં વધારીને 30 જાન્યુઆરી, 2026 સુધી કરવામાં આવી હતી. હવે મળેલા તમામ ફોર્મની ચકાસણી કરી 10 ફેબ્રુઆરી, 2026 સુધીમાં નિકાલ કરાશે. સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 2.16 લાખ ફોર્મ મળ્યાજિલ્લાવાર આંકડાઓ મુજબ અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 2.16 લાખ ફોર્મ મળ્યા છે. ત્યારબાદ સુરત (1.31 લાખ), આણંદ (78,790), રાજકોટ (72,149) અને ભાવનગર (63,116) જિલ્લાઓમાં નોંધપાત્ર અરજીઓ આવી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાંથી ફોર્મ મળી આવતા મતદાર યાદીની શુદ્ધતા અને ચોકસાઈ તરફ વહીવટીતંત્રની સક્રિય કામગીરી સ્પષ્ટ થાય છે. સહાયક અધિકારીઓ ફોર્મની તપાસ કરી સમયમર્યાદામાં નિર્ણય લેશેચૂંટણી પંચના હેતુ “પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતો મતદાર સામેલ ન થાય” ને સિદ્ધ કરવા માટે રાજ્યભરના મતદાર નોંધણી અધિકારીઓ અને સહાયક અધિકારીઓ ફોર્મની તપાસ કરી સમયમર્યાદામાં નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે, જે નાગરિકો કોઈ કારણસર આ પ્રક્રિયામાં જોડાઈ ન શક્યા હોય, તેઓ આગામી સમયમાં સતત સુધારણા અંતર્ગત ફોર્મ ભરીને નામ ઉમેરવા, રદ્દ કરવા અથવા સ્થળાંતર સહિતના ફેરફારો કરાવી શકશે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:35 pm

શહેરાના ડૉ. દીપક પરમારનું જૂનાગઢમાં સન્માન:સમાજશાસ્ત્ર ક્ષેત્રે યોગદાન બદલ ગૌરવપૂર્ણ સન્માન કરાયું

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉજડા ગામના વતની ડૉ. દીપક પરમારનું જૂનાગઢ ખાતે સન્માન કરવામાં આવ્યું છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં આયોજિત ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદના 31મા અધિવેશનમાં તેમને સમાજશાસ્ત્ર ક્ષેત્રે નોંધપાત્ર શૈક્ષણિક પ્રદાન અને સંશોધન કાર્ય બદલ ગૌરવપૂર્ણ સન્માન એનાયત કરાયું હતું. ડૉ. દીપક પરમારે સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રખર સમાજશાસ્ત્રી પ્રો. રમેશ એચ. મકવાણાના માર્ગદર્શન હેઠળ પોતાનું પીએચ.ડી.નું સંશોધન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. તેમનો સંશોધન વિષય સ્થળાંતરિત આદિવાસી મહિલા મજૂરોની સ્થિતિ અને સમસ્યાઓ: એક સમાજશાસ્ત્રીય અભ્યાસ હતો. આ સંશોધનને ધ્યાનમાં રાખીને તેમને આ સન્માન અપાયું હતું. આ સન્માન સમારોહમાં અધિવેશનના પ્રમુખ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. હેમીક્ષા રાવ, ડૉ. રાજેન્દ્ર જાની, ડૉ. જયસિંહ ઝાલા, તેમજ ડૉ. એચ. એલ. ચાવડા સહિત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના નામી વિદ્વાનો અને અધ્યાપકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ ડૉ. પરમારના શૈક્ષણિક કાર્ય અને સામાજિક સંશોધનોની પ્રશંસા કરી હતી. ખેડૂત પરિવારમાંથી આવતા ડૉ. દીપક પરમાર હાલમાં થરાદની શ્રી રાજેશ્વર આર્ટસ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. એક ગ્રામીણ વિસ્તારના યુવાને શિક્ષણ ક્ષેત્રે મેળવેલી આ સિદ્ધિથી સમગ્ર પંચમહાલ જિલ્લાનું ગૌરવ વધ્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:34 pm

તંત્ર દ્વારા જૂનાગઢ મહાશિવરાત્રી મેળો-2026 ની તૈયારી:11 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીનો ભવ્ય મેળો: રવેડીનો રૂટ વધારાયો, 3000 પોલીસ જવાનો તૈનાત અને સાધુ-સંતોનો યોજાશે ભવ્ય 'નગર પ્રવેશ'.

આગામી 11 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી સુધી ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રીનો મેળો યોજાવવા જઈ રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ મેળો જગવિખ્યાત બની રહે તે માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા મહાશિવરાત્રીનો મેળો લોકોની સુખ સુવિધા અને સલામાતી ભર્યો યોજાઈ જેને લઇ જુનાગઢ તંત્રને ખાસ સુચના આપવામાં આવી છે. જૂનાગઢના જીલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાની અધ્યક્ષતામાં આગામી મહાશિવરાત્રીના મેળાને લઈને વહીવટી તંત્રની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ, ધારાસભ્ય સહિતના ભાજપના પદાધિકારીઓ, ઉતારા મંડળ તેમજ અન્નક્ષેત્રના સંચાલકો સાથે પણ વિગતવાર બેઠક યોજવામાં આવી હતી. કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન ભવનાથ ક્ષેત્રમાં યોજાશે. આ મેળાનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર છેલ્લા 1 મહિનાથી સાધુ-સંતોના આશીર્વાદ અને પરામર્શ સાથે આ ભવ્ય તૈયારીઓ કરી રહી છે. ​મેળાની ભવ્યતા અને રવેડીનો રૂટ મેળાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળે તે હેતુથી આ વખતે મેળાના વિસ્તારમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ભવનાથ વિસ્તાર પૂરતો મર્યાદિત રહેતો આ મેળો હવે ગિરનાર દરવાજા અને મજેવડી દરવાજા (ભરડાવાવ દરવાજા) થી જ શરૂ થશે. સમગ્ર રૂટ પર વિશેષ સુશોભન, લાઈટિંગ અને સેલ્ફી પોઈન્ટ્સ મૂકવામાં આવશે. ખાસ કરીને, દર વર્ષે રવેડી (સરઘસ) જોવા માટે ઉમટતી જનમેદનીને ધ્યાનમાં રાખીને રવેડીના રૂટમાં 500 મીટરનો વધારો કરવામાં આવ્યો છે. હવે રવેડીનો કુલ રૂટ 2 કિલોમીટર જેટલો લાંબો થશે, જે મેર સમાજની વાડીથી ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર સુધી રહેશે, જેથી શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકશે. ​સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા મેળામાં સુરક્ષા વ્યવસ્થાને લોખંડી બનાવવા માટે પોલીસ સ્ટાફમાં ધરખમ વધારો કરાયો છે. દર વર્ષના 1500 પોલીસ જવાનોના બદલે આ વર્ષે 2900 થી 3000 જેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે. ટ્રાફિક નિયંત્રણ માટે 25 અલગ-અલગ પાર્કિંગ સ્થળો નક્કી કરાયા છે, જ્યાં 18,000 વાહનો પાર્ક થઈ શકશે. ભરડાવાવથી જ વાહનો માટે પ્રવેશબંધી રહેશે, જેથી યાત્રાળુઓ ચાલીને મેળાનો આનંદ માણી શકે. ઉતારા મંડળ અને અન્નક્ષેત્રોને જરૂરી ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી અને ગેસના બોટલ લાવવા માટે રાત્રીનો સમય ફાળવવામાં આવ્યો છે જેથી દિવસ દરમિયાન ભીડ ન થાય. ​પાર્કિંગ સ્થળોની સંખ્યા અને કુલ ક્ષમતા જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે વહીવટી તંત્ર દ્વારા કુલ 24 જેટલા પાર્કિંગ સ્થળો ફાળવવામાં આવ્યા છે. આ તમામ પાર્કિંગ પ્લોટની કુલ ક્ષમતા 17,290 વાહનોની છે, જેથી મેળા દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય.મેળામાં સૌથી વધુ સંખ્યામાં આવતા ટુ-વ્હિલર માટે કુલ 8 પાર્કિંગ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં 8,850 બાઈક કે સ્કૂટર પાર્ક કરી શકાશે. તેવી જ રીતે, ફોર-વ્હિલર (કાર) માટે 9 અલગ પાર્કિંગ સ્થળોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેની કુલ ક્ષમતા 6,700 વાહનોની રાખવામાં આવી છે. ​ઓટો રિક્ષા અને ભારે વાહનો માટેનું આયોજન મુસાફરોની અવરજવર કરતી ઓટો રિક્ષા માટે 2 પાર્કિંગ સ્થળો ફાળવાયા છે, જેમાં 300 રિક્ષા રહી શકશે. આ ઉપરાંત, બસ જેવા ભારે વાહનો માટે 5 પાર્કિંગ સ્થળો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જ્યાં કુલ 1,440 ભારે વાહનો પાર્ક કરવાની ક્ષમતા ઉપલબ્ધ છે. ​નવી પહેલ અને સાંસ્કૃતિક કાર્યક્રમો આ વર્ષે 11 તારીખની સાંજે (નોમના દિવસે) સાધુ-સંતોના 'નગર પ્રવેશ'નો એક નવો અને વિશેષ કાર્યક્રમ યોજાશે. જેમાં નગરજનો સાધુ-સંતોનું ભવ્ય સ્વાગત કરશે, આરતી ઉતારશે અને આશીર્વાદ મેળવશે. ત્યારબાદ ભવનાથ મંદિરમાં આરતી અને ધર્મસભા યોજાશે. મનોરંજન માટે જિલ્લા પંચાયત સામેના પાર્કિંગ ગ્રાઉન્ડમાં વિશાળ મંડપમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં 5 થી 6 હજાર લોકો એકસાથે બેસી શકશે. આરોગ્ય અને અન્ય સુવિધાઓ: મેળા દરમિયાન સ્વચ્છતા માટે 3 ગણી વધુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને પ્લાસ્ટિક મુક્ત મેળા માટે વિશેષ સમિતિ નિયમિત ચેકિંગ કરશે. આરોગ્ય સુવિધા માટે 250 થી વધુ કર્મચારીઓ, ICU વ્યવસ્થા અને 108 એમ્બ્યુલન્સ તૈનાત રહેશે. પરિવહન માટે 300 ST બસો અને 70 મિની બસો દોડાવવામાં આવશે. આ ઉપરાંત, વૃદ્ધો અને બાળકો માટે ઈ-રિક્ષાની પણ વિશેષ સુવિધા કરવામાં આવી છે. સમગ્ર વહીવટી તંત્ર મેળાને સફળ અને શ્રદ્ધાળુઓ માટે સુવિધાજનક બનાવવા માટે કટિબદ્ધ છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:33 pm

ચોટીલામાં દેહવ્યાપાર ચલાવતી બે હોટલોને નોટિસ:નાયબ કલેક્ટરે હોટલો સીલ કરવા ક્લોઝર નોટિસ ફટકારી, કાર્યવાહી શરૂ

ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાને ચોટીલા યાત્રાધામની આસપાસની હોટલોમાં દેહવ્યાપારની પ્રવૃતિ ચાલતી હોવાની વિશ્વસનીય માહિતી મળી હતી. આ પ્રવૃત્તિ યાત્રિકો અને નાગરિકોની ભાવનાઓ અને આસ્થાને ઠેસ પહોંચાડી રહી હતી. આ માહિતીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, તેની ખરાઈ કરવા માટે અધિકૃત ટીમ અને ગ્રાહકોને વિવિધ હોટલોમાં મોકલવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન, બે હોટલોમાં દેહવ્યાપાર જેવી ગંભીર, ગેરકાયદેસર અને અનૈતિક પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલતી હોવાનું માલુમ પડ્યું હતું. આ પ્રવૃત્તિ હેઠળ એક વ્યક્તિ દીઠ રૂ. 1000 વસૂલ કરવામાં આવતા હતા. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હોટલો અને તેમના માલિકોના નામ જોઈઓ તો સીટી પેલેસ હોટલ, ચોટીલા, જેના માલિક દેવાભાઈ ભીખાભાઈ આલ (રબારી) છે. બાલાજી હોટલ, ચોટીલા, જેના માલિક ગભરુભાઈ ભોજભાઈ કાઠી દરબાર છે. ખાનગી રાહે મોકલેલી અધિકૃત ટીમ અને ગ્રાહકો દ્વારા કરાયેલી અચાનક તપાસમાં આ બંને હોટલોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું સામે આવ્યું હતું. તેથી, Immoral Traffic (Prevention) Act, 1956 (અનૈતિક વેપાર (નિવારણ) અધિનિયમ 1956) ની કલમ 18 (1) હેઠળ મળેલી સત્તાની રૂએ બંને હોટલના માલિકોને દેહવ્યાપારની પ્રવૃતિઓ બંધ કરવા અને હોટલો સીલ કરવા માટે ક્લોઝર નોટિસ ફટકારીને નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, જો ચોટીલા ડિવિઝનમાં આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ હોય અથવા તેમના ધ્યાનમાં આવે, તો તેઓ ખાનગી રાહે માહિતી આપી શકે છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:31 pm

હોસ્પિટલના ત્રીજા માળે ચા બનાવતા'તા ને સિલિન્ડરમાં આગ ભભૂકી:ગેસ લીકેજે સ્ટાફનો જીવ અધ્ધર ચડાવ્યો, ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી 15 યુવતીઓને બચાવી

વડોદરા શહેરના રેસકોર્સ વિસ્તારમાં એપાર્ટમેન્ટના ત્રીજા માળે આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગની ઘટનામાં એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. જેમાં એક રૂમમાં રહેતી 15 યુવતીનો ફાયર વિભાગે રેસ્ક્યુ કરી જીવ બચાવ થયો હતો. ચા બનાવતી વખતે ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગીશહેરના રેસકોર્સ પાસે આવેલા પરેશ ગોસ્વામી વાણિજ્ય ભવન પાસે આવેલા આકાશ ગંગા એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી 15 યુવતીઓ રૂમમાં હાજર હતી, તે દરમિયાન ચા બનાવતી વખતે ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી હતી. આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ વિકરાળ બને તે પહેલા જ વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી પહેલા અંદર રહેલ યુવતીઓને રેસ્ક્યુ કરી બહાર કાઢી હતી. આ આગના કારણે દોડધામ મચી ગઈ હતી. જોકે, ફાયર વિભાગની સમય સૂચકતાને લઈ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. રૂમમાં ધુમાડા છવાઈ ગયા હતાવડીવાડી ફાયર બ્રિગેડની ટીમ આવી ત્યારે રૂમમાં ધુમાડા છવાઈ ગયા હતા અને ગેસ લીકેજ ચાલુ હતો. જેથી, આ સિલિન્ડર ટેરેસ પર મૂકી દેવામાં આવ્યો હતો. આ સાથે યુવતીઓની હિંમતને કારણે તેમનો બચાવ થયો હતો. આ મામલે તાત્કાલિક ફાયર વિભાગે કાર્યવાહી શરૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:30 pm

નવસારીમાં 55 નવા TRB જવાનોની ભરતી કરાઈ:એક સપ્તાહની ટ્રેનિંગ બાદ ટ્રાફિક પોઈન્ટ પર તૈનાત થશે

નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ વધતા ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે જિલ્લા પોલીસ પ્રશાસને મહત્વનો નિર્ણય લીધો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે 55 નવા ટ્રાફિક બ્રિગેડ (TRB) જવાનોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને આજે તેમને નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. નવસારી જિલ્લા ટ્રાફિક ભવન કચેરી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક (SP) રાહુલ પટેલના હસ્તે આ નવનિયુક્ત જવાનોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે TRB કમિટીના સભ્યો મધુભાઈ કથીરિયા અને ભરત ગાંધી તેમજ DYSP અને PI કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત 55 TRB જવાનોને એક અઠવાડિયાની વિશેષ તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં ટ્રાફિક સિગ્નલિંગ, જાહેર ફરજો અને કાયદાકીય જાણકારીનો સમાવેશ થાય છે. તાલીમ પૂર્ણ થયા બાદ, તેમને શહેરના વિવિધ વ્યસ્ત ટ્રાફિક પોઈન્ટ્સ પર ફરજ માટે તૈનાત કરવામાં આવશે. નવસારી શહેર મહાનગરપાલિકા બન્યા બાદ વાહનોની અવરજવર અને વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે પીક અવર્સમાં શહેરના મુખ્ય સર્કલો અને માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા સામાન્ય બની હતી. આ નવી ભરતીથી લાંબા સમયથી અનુભવાતી સ્ટાફની અછત પૂરી થશે અને નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળવાની અપેક્ષા છે. નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં મંજૂર થયેલી કુલ જગ્યાઓ પૈકી ખાલી પડેલી 55 જગ્યાઓ પર છેલ્લા એક મહિનામાં તપાસ પ્રક્રિયા હાથ ધરી યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. આ 55 ઉમેદવારોને આજે TRB જવાન તરીકેના નિમણૂક પત્રો અપાયા છે. એક અઠવાડિયાની તાલીમ બાદ તેમને યુનિફોર્મ સાથે નવસારી જિલ્લાના વિવિધ શહેરોમાં ટ્રાફિક નિયમન માટે તૈનાત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:29 pm

પાટણમાં વિશ્વકર્મા જયંતિની ઉજવણી:42 વર્ષથી ચાંદીના રથમાં નીકળી શોભાયાત્રા, સરકારી રજાની માંગ

સમગ્ર ભારતમાં ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાટણ શહેરમાં પંચાલ પરિવાર દ્વારા રથયાત્રાનું આયોજન કરાયું હતું. પાટણના મનુપંચાલ ભુવનમાંથી છેલ્લા 42 વર્ષથી ચાંદીના રથમાં ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ રથયાત્રા સમગ્ર ગુજરાતમાં એકમાત્ર એવી હોવાનું મનાય છે. આ શોભાયાત્રામાં સમગ્ર વિશ્વકર્મા સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પવિત્ર દિવસે હવન-પૂજન કરીને સમગ્ર વિશ્વકર્મા પરિવારે ઉત્સવ ઉજવ્યો હતો. આ સાથે, સમગ્ર વિશ્વકર્મા પરિવારે ભારત સરકાર સમક્ષ એક મહત્વપૂર્ણ માંગણી કરી છે. તેમણે ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિને સરકારી રજાનો દરજ્જો આપવા વિનંતી કરી છે. છેલ્લા ઘણા સમયથી આ માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ હજી સુધી તે સ્વીકારવામાં આવી નથી. સમગ્ર ભારતમાં કરોડોની સંખ્યામાં વસતા વિશ્વકર્મા પરિવારની ભાવના છે કે સરકારે તેમની આ માંગણી પર વિચાર કરીને આ દિવસે સરકારી રજા જાહેર કરવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:28 pm

પત્નીને જીવતી સળગાવાના કેસમાં પતિને આજીવન કેદ:વાપી કોર્ટે ઉમરગામ કેસમાં આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા સંભળાવી

વાપી કોર્ટે ઉમરગામમાં પત્નીને જીવતી સળગાવનાર પતિને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે. વાપીની થર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ પુષ્પા સૈનીએ આરોપી જિગ્નેશ રાજપૂતને આ ચુકાદો આપ્યો હતો. આ કેસમાં ડાઇંગ ડિક્લેરેશન અને FSL રિપોર્ટ મહત્ત્વના પુરાવા સાબિત થયા હતા. આ ઘટના 2021માં બની હતી, જ્યારે આરોપી જિગ્નેશ રાજપૂતે તેની પત્ની કામિનીબેન પર પેટ્રોલ છાંટી સળગાવી દીધા હતા. ગંભીર રીતે દાઝી ગયેલી કામિનીબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ દંપતીએ 12 વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા અને તેમને બે દીકરીઓ પણ હતી. જોકે, લગ્નજીવન દરમિયાન જિગ્નેશ તેની પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો અને અવારનવાર પૈસાની માંગણી કરતો હતો. પતિના ત્રાસથી કંટાળીને કામિનીબેન પિયર જતી રહી હતી. તેમ છતાં, જિગ્નેશ વારંવાર તેને સાસરે પાછા આવવા માટે દબાણ કરતો હતો. આ અદાવતમાં, 2021માં જ્યારે કામિનીબેન નોકરી પર જઈ રહ્યા હતા, ત્યારે જિગ્નેશે તેમના પર પેટ્રોલ છાંટી માથાથી છાતી સુધીના ભાગે સળગાવી દીધા હતા. વાપીની હોસ્પિટલમાં અઢી મહિનાની લાંબી સારવાર બાદ કામિનીબેનનું નિધન થયું હતું. ન્યાયાધીશ પુષ્પા સૈનીની કોર્ટે આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) હેઠળ અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદ અને ₹5000નો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદ ભોગવવી પડશે. આ ઉપરાંત, આરોપીને કલમ 498-A (ઘરેલુ હિંસા) હેઠળ 3 વર્ષની સખત કેદ અને ₹2000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દંડ ન ભરે તો વધુ 4 માસની સાદી કેદની જોગવાઈ છે. સરકારી વકીલ રાકેશ ચાપાનેરીયાના જણાવ્યા મુજબ, ઉમરગામ પોલીસ દ્વારા નોંધાયેલ મૃતકનું ડાઇંગ ડિક્લેરેશન (મૃત્યુ પૂર્વેનું નિવેદન) આ કેસમાં સૌથી મોટો પુરાવો બન્યો હતો. ઘટના સમયે હાજર રહેલા નજરે જોનારા સાક્ષીઓ, FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) નો રિપોર્ટ અને તબીબી પુરાવાઓ પણ આરોપીને સજા અપાવવામાં નિર્ણાયક સાબિત થયા હતા.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:14 pm

ઇડરના વડીયાવીરમાં અંબાજી માતાનો 14મો પાટોત્સવ ઉજવાયો:સંતો-મહંતોની ઉપસ્થિતિમાં સનાતન ધર્મસભાનું આયોજન

સાબરકાંઠાના ઇડર તાલુકાના વડીયાવીર બિલેશ્વર ધામમાં અંબાજી માતાજીનો ૧૪મો પાટોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં સનાતન ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવની ઉજવણી અંતર્ગત ગામમાં સંતો-મહંતો અને ધર્મપ્રેમી જનતા સાથે વાજતે-ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ગ્રામજનોએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. વડીયાવીર મંદિરના મહંત શાંતિગીરી મહારાજની વિનંતીથી અનેક સંતો-મહંતો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જનસેવા પ્રતિષ્ઠાન દ્વારા મહંત બુદ્ધિગીરીજી અને શીતલગીરીજી મહારાજના માર્ગદર્શન હેઠળ આ પાટોત્સવની ઉજવણી કરાઈ હતી. આ ઉપરાંત, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત સનાતન ધર્મસભાનું પણ આયોજન થયું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ, અખિલ ભારતીય ધર્માચાર્ય અશોક તિવારીજી, હિંમતનગરના નલિનભાઈ પટેલ, પ્રદીપભાઈ ખરાદી, પ્રકાશભાઈ પરમાર, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ સહિત વડીયાવીરના ગ્રામજનો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. સંતો-મહંતોએ ધર્મસભામાં હિન્દુ સમાજની વર્તમાન સમસ્યાઓ, સંસ્કાર, એકતા અને સમાજ સુધારા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિવિધ સમાજોને સંતોના માર્ગદર્શન હેઠળ આ સમસ્યાઓના નિવારણ માટે ચિંતન કરવા આહ્વાન કર્યું હતું. આ વિરાટ મહાસંમેલનને કારણે સમગ્ર વડીયાવીર ગામમાં ધાર્મિક વાતાવરણ છવાયું હતું.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:12 pm

રેસિડેન્સીયલ સ્કૂલોમાં એડમિશન માટે CET પરીક્ષા યોજાઈ:26 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ અપાશે

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ અને રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ માટેની કોમન એન્ટરન્સ ટેસ્ટ યોજવામાં આવી હતી. તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના મેળવવા માટે પણ સરકારી શાળા, સ્કૂલ બોર્ડની શાળા અને જિલ્લા પંચાયતની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં કુલ 125 સેન્ટર પર 26 હજાર કરતા પણ વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યાં અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓનું ફુલ આપી એન્ટ્રી આપવામાં આવી હતી. સ્કોલરશીપ યોજના માટે CET ની પરીક્ષા યોજાઈવર્ષ 2023- 24થી મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે CET ની પરીક્ષા લેવામાં આવતી હોય છે. જેમાં મેરીટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હોય છે. આ વર્ષે CET પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ પણ આપવામાં આવી છે. ધોરણ 5ના વિદ્યાર્થીઓ પહેલી વખત કોઈ સરકારી યોજના પરીક્ષા આપતા હોવાથી તેમના ચહેરા પર અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મેરીટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ અને સ્કોલરશીપ મળશે તેમજ વિદ્યાર્થીઓનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે તેમણે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ ફુલ આપીને સેન્ટર પર પ્રવેશ આપ્યો હતો. બપોરે 1થી 3 વાગ્યા સુધી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા પૂર્ણ થયા બાદ મેરીટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ અને સ્કોલરશીપ આપવામાં આવશે. પાસ થનાર વિદ્યાર્થીઓ આ ત્રણે શાળાઓમાં એડમિશન મેળવી શકશેઅમદાવાદ શહેર DEOએ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોમન એન્ટ્રસ ટેસ્ટ યોજાઇ રહી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વની કહી શકાય તેવી મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપનો લાભ લઇ શકે અને જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ અને રક્ષા શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ આ ત્રણેય શાળાઓમાં પ્રવેશ મેળવી શકે તે માટેની પરીક્ષા યોજાઈ રહી છે. પાસ થનાર વિદ્યાર્થીઓ આ ત્રણે શાળાઓમાં પોતાની પસંદગીની શાળામાં પ્રવેશ મેળવવા માટે લાયક બનશે. એ સિવાયના જે વિદ્યાર્થીઓ છે તે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના લાયક બનશે. મોટેભાગે સરકારી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. 'સરકારી શાળાના વિદ્યાર્થીઓની પ્રતિભા પણ બહાર આવશે'વધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકારી શાળા, સ્કૂલ બોર્ડમાં ભણતા ધોરણ 5 ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. ખાનગી શાળાના વિદ્યાર્થીઓ રક્ષા શક્તિ સ્કૂલમાં પ્રવેશ લેવા માટે પરીક્ષા આપતા હોય છે. વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ અપાવો અને રેસીડેન્સીયલ સ્કૂલનો લાભ અપાવવો તે માટે ઉત્સાહ જોવા મળ્યું છે. તેમજ વિદ્યાર્થીઓની સ્વાગત પણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષા દ્વારા આગામી સમયમાં વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થવાનો છે. આ પરીક્ષાના કારણે સરકારી શાળાના વિદ્યાર્થીઓની પ્રતિભા પણ બહાર આવશે. અમદાવાદમાં 125 સેન્ટર પર 25 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા વધુમાં રોહિત ચૌધરી જણાવે છે કે, અમદાવાદમાં કુલ 125 સેન્ટર પર પરીક્ષા લેવાઈ રહી છે જેમાં 25 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે રાજ્યભરમાં 7 લાખ કરતા પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સરકારની શાળાઓમાં 6થી 12 સુધી ઉત્તમ સગવડો આપીને શિક્ષણ મળી રહી તે માટે શાળાઓને મંજૂરી આપવામાં આવતી હોય છે. જો વિદ્યાર્થી તે શાળામાં પ્રવેશ નથી મેળવી શકતા તો તેમને મેરીટના આધારે સ્કોલરશીપ પણ આપવામાં આવતી હોય છે. સરકારી કે ખાનગી શાળામાં વિદ્યાર્થી અભ્યાસ કરે તો પણ તેને સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે. ધોરણ 12 સુધી વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરવા આ સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:08 pm

સંયુક્ત માલિકીની જમીન ભાડે આપી કાકાએ જ ઠગાઈ આચરી:માલિકોની મંજૂરી વગર મહિના દીઠ 75 હજારમાં જમીન ભાડે ચઢાવી'તી, ભત્રીજાએ ફરિયાદ નોંધાવી

જોધપુર અને સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સંયુક્ત માલિકીની જમીન મામલે પરિવારજનો વચ્ચે વિવાદ ઊભો થયો છે. 52 વર્ષીય નંદલાલ પટેલે આરોપ મૂક્યો છે કે તેમની જાણ બહાર અને મંજૂરી વગર કાકા નટવર પટેલ અને મનહર પટેલે સંયુક્ત મિલકત ભાડે આપી આર્થિક લાભ લીધો છે. ડિસેમ્બર 2024થી જમીન ભાડે આપી ત્યાં ઓફિસ બાંધકામ કરાયું હોવાનું સામે આવ્યું હતું. તપાસ કરતા સંયુક્ત વારસદારોની સહમતિ વિના ભાડા કરાર કરાયો હોવાનું સામે આવ્યું હતું. નંદલાલ પટેલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં કાકા નટવર પટેલ અને મનહર પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સંયુક્ત માલિકીની મિલકતને કાકાએ ભાડે ચડાવી દીધી52 વર્ષીય નંદલાલ પટેલના પરિવારની વણ વહેંચાયેલી સંયુક્ત માલિકીની મિલકત અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલી છે. આ મિલકતમાં કુલ 11,200 ચોરસ મીટર જમીન છે, જેમાં નંદલાલ પટેલ, તેમની પત્ની મમતાબેન તેમજ પરિવારના અન્ય સભ્યોના સંયુક્ત નામ ખાતેદાર તરીકે નોંધાયેલા છે. તેમજ સેટેલાઈટ વિસ્તારમાં કાદંબરી સોસાયટીની સામે આવેલી 2529 ચોરસ મીટરની બીજી મિલકત પણ સંયુક્ત માલિકીની છે. જમીનની સંયુક્ત વારસદારોએ બાંધકામ કરવાની એકબીજાની સહમતિ ન હોવાથી મંજૂર મળેલ નહીં. ભત્રીજાની જાણ અને મંજૂરી વગર કાકાએ ભાડા કરાર કર્યાપરંતુ તે જ મિલકત નંદલાલ પટેલના કાકા નટવરભાઈ પટેલે અને મનહર પટેલે આર્થિક લાભ માટે જાણ અને મંજૂરી વગર ભાડા કરાર કરી જમીન ભાડેથી આપી દીધી હતી. 15 નંદલાલ પટેલને 15 મેના રોજ જાણ થઈ હતી કે સંયુક્ત માલિકીની જમીન પર “Trinay Buildspace LLP” નામનું બોર્ડ લગાવવામાં આવ્યું છે અને ત્યાં બાંધકામની ઓફિસ કાર્યરત છે. જમીન ભાડા કરાર પર આપી દીધી હતીઆ બાબતે તપાસ કરવા તેઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે ઓફિસની અંદર જયંતીભાઈ પટેલ હાજર જોવા મળ્યા હતા. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડિસેમ્બર 2024થી નટવરભાઈ પટેલ અને મનહર પટેલે આ જમીન ભાડા કરાર પર આપી દીધી હતી. નટવરભાઈ પટેલ અને મનહર પટેલે સંયુક્ત માલિકીની જમીન ડિસેમ્બર 2024થી ભાડા કરાર કરી આપી દીધી હોવાનું ફરિયાદીને જાણવા મળ્યું હતું. મહિના દીઠ 75 હજાર રૂપિયા નક્કી ર્ક્યાવધુ પૂછપરછ કરતા ભાડા કરાર કરી મહિના દીઠ 75 હજાર રૂપિયા નક્કી ર્ક્યા બાદ જમીન પર પાકું બાંધકામ કરી ઓફિસ બનાવી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ફરીયાદીએ જમીનના માલિક હોવાની ઓળખ આપી અને રજીસ્ટરમાં નામ હોવાનું જણાવી ગેરકાયદેસર બાંધકામ ખાલી કરવા કહ્યું હતું. જે દરમિયાન ફરિયાદીને જાણવા મળ્યું હતું કે નરવર પટેલ અને મનહર પટેલે કાયદેસર રીતે ભાડા કરાર કરી જમીન ભાડે આપી હતી. ભત્રીજાએ કાકા સામે ફરિયાદ નોંધાવીનટવર પટેલ અને મનહર પટેલે આર્થિક લાભ માટે જમીન માલિક ની મંજૂરી વગર મિલકત અલગ અલગ માણસોને જુદી જુદી રકમથી ભાડે આપી છેતરપિંડી આચરી છે. આર્થિક નુકસાન થયું હોવાથી ફરિયાદીએ તેના કાકા નટવર પટેલ અને મનહર પટેલ સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 3:01 pm

મહેફિલમાં પોલીસનો ભંગ:વડોદરાના અલકાપુરી વિસ્તારમાં બિલ્ડિંગના છત પર ચાલતી દારૂની પાર્ટી પર પોલીસની રેડ, 8 નબીરા ઝડપાયા

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી બિલ્ડીંગના છત પર ચાલી રહેલી દારૂની પાર્ટી પર અકોટા પોલીસે રેડ કરી હતી. પોલીસને જોઈને નબીરાઓનો દારૂનો નશો પણ ઉતરી ગયો હતો. પોલીસે સ્થળ પરથી 8 નબીરાઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી હારી. પોલીસે દારૂની બોટલ અને ચાખનાનો સામાન પણ કબ્જે કર્યો છે. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં અકોટા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં ફરી હતી. તે દરમ્યાન કંટ્રોલ રૂમ ખાતે 11.51 વાગે વર્ધી મળી હતી કે અલકાપુરી વિશ્વાસ કોલોની ખાતે આવેલ ગોલ્ડ ક્રાફટ કોમ્પલેક્ષના ધાબા પર આઠ શખ્સો ભેગા થયા છે અને તમામ ભેગા મળી દારૂ પાર્ટી કરી રહ્યા છે. જેના આધારે અકોટા પોલીસની ટીમને બાતમી મળી હતી કે જયરામભાઈએ ગોલ્ડ ક્રાફટ બીલ્ડીંગના ધાબા પર રેડ કરી હતી. ત્યારે છત પર આઠ શખ્સો ગોળ કુંડાળુ વળી દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસને જોઈને તેમનો નશો પણ ઉતરી ગયો હતો. જેથી પોલીસે સ્થળ પરથી 8 નબીરાની ધરપકડ કરી તેમની પાસેથી દારૂની બોટલ, ચાખનાનો સામાન તેમજ દારૂ ભરેલા પ્લાસ્ટીકના આઠ ગ્લાસ કબ્જે કર્યા છે. ઝડપાયેલા નબીરાના નામ સરનામા (1) ભાવીક પ્રીતેશભાઈ ઉપાધ્યાય (રહે. ઈલોરા પાર્ક સોસાયટી દીવાળીપુરા વડોદરા વડોદરા શહેર) (2) મનોજ વાસુદેવ સાધુ (રહે. પરશોતમનગર ફ્લેટ રાણીપ અમદાવાદ, અમદાવાદ શહેર) (3) હરી વસંતભાઈ બારોટ ( રહે. હરીઓમનગર સોસાયટી ભાયલી રોડ વડોદરા શહેર, વડોદરા શહેર) (4) યામીન સલીમભાઈ શેખ (રહે. અલસફા તાંદળજા વડોદરા શહેર, વડોદરા શહેર) (5) અર્પીત રાજેશભાઈ ચીત્રે (રહે. શરદનગર સાંઈબાબા મંદીર પાસે તરસાલી વડોદરા ) (6) અભિલાપ ઓમનારાયણ દિવેદી ( રહે. અક્ષર રેસિડેન્સી વડસર વડોદરા શહેર ) (7) આસીશ વિજયભાઈ ભોસલે ( રહે. ઝંડા ચોક કિશનવાડી આજવા રોડ વડોદસ શહેર) (8) ચિરાગ સુજાનર્સિંગ રાઠવા ( રહે.અક્ષરયુગ સોસાયટી ખંટબા ગામ વાઘોડીયા જી.વડોદરા )

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 2:54 pm

વડોદરા (નિઝામપુરા)થી થરાદ માટે બસ સેવાની શરૂઆત:સ્થાનિક લોકોએ ચૂંટણી પહેલાંનો સ્ટન્ટ ગણાવીને વિરોધ કર્યો, ધારાસભ્ય કેયૂર રોકડિયા અને સ્થાનિક કોર્પોરેટરને ઘેર્યા

વડોદરા શહેરના નિઝામપુરા બસ ડેપોથી ઉત્તર ગુજરાતના થરાદ માટે નવી બસ સેવાની આજથી શરૂઆત કરવામાં આવી છે. આ બસને ધારાસભ્ય કેયુર રોકડિયાએ લીલી ઝંડી આપી શરૂઆત કરાવી હતી. જોકે, આ એક બસની શરૂઆતને સ્થાનિક લોકોએ આગામી ચૂંટણી પહેલાંનો માત્ર એક 'સ્ટન્ટ' ગણાવીને તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. બસો બંધ કરીને સેન્ટ્રલ બસ ડેપો તરફ ખસેડી દેવામાં આવતા વિરોધસ્થાનિકોના જણાવ્યા અનુસાર, નિઝામપુરા વિસ્તારમાં ઉત્તર ગુજરાતના આશરે 1.25 લાખ જેટલા લોકો રહે છે, જેમને થરાદ, ઉત્તર ગુજરાતના વિવિધ શહેરો સાથે સીધી બસ સેવાની ખૂબ જરૂર છે. કોવિડ પહેલાં આ વિસ્તારમાંથી સૌરાષ્ટ્ર તરફ 40થી વધુ બસો દોડતી હતી, જેને પાછળથી બંધ કરીને સેન્ટ્રલ બસ ડેપો તરફ ખસેડી દેવામાં આવી હતી. ઓછામાં ઓછી 40 બસોની સેવા તાત્કાલિક ફરી શરૂ કરવા માગસ્થાનિક નાગરિકોએ આ એક બસની શરૂઆતને અપૂરતી ગણાવી છે અને માંગ કરી છે કે પહેલાની જેમ ઓછામાં ઓછી 40 બસોની સેવા તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે. જો આ માંગ પૂરી ન કરવામાં આવે તો આવતી ચૂંટણીમાં જવાબ આપવાની તેઓએ ચીમકી ઉચ્ચારી છે. ધારાસભ્ય કેયુર રોકડિયા સામે પણ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો, જોકે તેમણે વધુ બસો દોડાવવાની લોકોની માંગ સ્વીકારી આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો. ધારાસભ્ય કેયૂર રોકડિયા અને સ્થાનિક કોર્પોરેટરને ઘેર્યાવોર્ડ નંબર 2ના કાઉન્સિલર ભાણજી પટેલે પણ આ બસ સેવા શરૂ કરાવવા માટે ધારાસભ્યને રજૂઆત કરી હતી. ઉત્તર ગુજરાતના મોટા ભાગના લોકો આ વિસ્તારમાં રહે છે. આ બાબતે મેં છ મહિના અગાઉ રજૂઆત કરી હતી. કોરોના પહેલા જે પ્રમાણે બસોનો રૂટ છે તે પ્રમાણે જતી હતી તે પ્રમાણે રૂટ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. અગાઉ અમે જે અહીંયાથી જતા હતા તે બસો ચાલુ જ છે પરંતુ રૂટ બદલી નાખવામાં આવ્યો છે જે ફરી શરૂ કરવામાં આવે તેવી અમારી રજૂઆત છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 2:53 pm

ભરૂચ નગર સેવા સદનમાં 33 વિકાસકામ મંજૂર:કોંગ્રેસે સફાઈ, ગટર યોજના મુદ્દે વિરોધ નોંધાવ્યો

ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભામાં કુલ 33 વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી. જોકે, બેઠક દરમિયાન વિપક્ષ કોંગ્રેસે શહેરની સફાઈ વ્યવસ્થા અને ભૂગર્ભ ગટર યોજનાને લઈને તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો. નગર સેવા સદનની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ યાદવના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. એજન્ડા પરના 28 કામો ઉપરાંત પ્રમુખ સ્થાનેથી રજૂ કરાયેલા 5 કામો મળીને કુલ 33 વિકાસકામોને સર્વસંમતિથી મંજૂરી અપાઈ હતી. બેઠક દરમિયાન વિપક્ષ કોંગ્રેસે શહેરમાં વધતી ગંદકી અને સફાઈ વ્યવસ્થાની ખામીઓ અંગે સત્તાધીશો પર પ્રહારો કર્યા હતા. વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે શહેરમાં ડોર ટુ ડોર કચરા સંકલન સેવા સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. સ્વચ્છતા સર્વેક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા હોવા છતાં શહેરમાં વાસ્તવિક સફાઈનો અભાવ છે અને ભરૂચ રાજ્યકક્ષાના સ્વચ્છતા સર્વેક્ષણમાં પાછળ ધકેલાઈ ગયું છે. આ જ સમયે, કોંગ્રેસના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ ભૂગર્ભ ગટર યોજનાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે આ યોજનાને દસ વર્ષ પૂર્ણ થયા હોવા છતાં નગરપાલિકા દ્વારા જનતાને આપેલા વાયદાઓ હજુ સુધી પૂર્ણ થયા નથી, જેના કારણે નાગરિકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વિપક્ષના આ આરોપોના જવાબમાં નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું હતું કે ભરૂચ શહેરનો સર્વાંગી વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. તેમણે ઉમેર્યું કે શહેરમાં ચાલતા વિકાસકાર્યો જોઈને કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે અને તેથી સામાન્ય સભામાં બિનજરૂરી હોબાળો મચાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 2:49 pm

બે દિવસીય એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ:મોરબી જિલ્લાના શિક્ષકોએ શિક્ષણમાં નૂતન પ્રયોગો રજૂ કર્યા

મોરબીની વી.સી. હાઈસ્કૂલ ખાતે બે દિવસીય ૧૧મો જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો હતો. જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન (DIET) મોરબી દ્વારા ૨૯ અને ૩૦ તારીખે આ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. આ ફેસ્ટિવલમાં મોરબી તાલુકામાંથી ૬, હળવદમાંથી ૩, ટંકારામાંથી ૨ અને વાંકાનેરમાંથી ૪ કૃતિઓ શિક્ષકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. શિક્ષણ ક્ષેત્રે નવા પ્રયોગો કરનાર શિક્ષકોને પ્રોત્સાહિત કરવાનો આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. રજૂ કરાયેલી કૃતિઓમાં 'નેચરલ હાઈજીન મેનેજમેન્ટ ઇન સ્કૂલ', 'સુંદરતાનું રહસ્ય રસોડું', 'રમત દ્વારા અસરકારક શિક્ષણ', 'નો પેન્ડિંગ, નો વેઇટિંગ', 'પઝલ દ્વારા અધ્યયન નિષ્પત્તિઓનું કઠિનતાથી સરળતા તરફ પ્રયાણ', 'ચાલો વાંચતા શીખીએ' અને 'ધ રિસેસ-માઈન્ડ બૂસ્ટર' જેવા વિષયોનો સમાવેશ થતો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી કે.એમ. મોતા, ડાયટના પ્રાચાર્ય સંજયભાઈ મહેતા, સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભદ્રસિંહ વાઘેલા, સી. લેક્ચરર ડો. ગંગાબેન વાઘેલા અને બીઆરસી કો-ઓર્ડિનેટર ચિરાગભાઈ આદ્રોજા સહિત શિક્ષક સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. પાંચેય તાલુકામાંથી લગભગ ૫૦૦ જેટલા શિક્ષકોએ પણ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી અને ઇનોવેટર્સના પ્રોજેક્ટ્સ નિહાળ્યા હતા. આ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલને સફળ બનાવવા માટે ડાયટ અને બીઆરસી - મોરબીની ટીમે જહેમત ઉઠાવી હતી. જિલ્લા ઇનોવેશન કો-ઓર્ડિનેટર તરીકે ડાયટ મોરબીના સંશોધન અને તાલીમ સહાયક જિજ્ઞાસાબેન રાઠોડ તેમજ માધવનભાઈ સતાણીએ વિશેષ યોગદાન આપ્યું હતું.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 2:47 pm

સુરતની હવે દિલ્હી બનવા તરફ આગેકૂચ, AQI 350ને પાર:બપોરે 12 વાગ્યા સુધી વિઝિબિલિટી ડાઉન, ધુમ્મસની ચાદરમાં લપેટાયું ડાયમંડ સિટી

સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પરિવર્તન જોવા મળ્યું છે. સવાર થી બપોરે 12 વાગવા છતાં હવામાં ઝેરી ધુમ્મસ (Smog) છવાયેલું રહ્યું હતું, જેના કારણે વિઝિબિલિટીમાં મોટો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને તાપી નદીના તટ અને શહેરના મુખ્ય માર્ગો પર વાહનચાલકોને ધોળે દિવસે હેડલાઇટ ચાલુ રાખવાની નોબત આવી હતી. સામાન્ય રીતે ચોખ્ખી દેખાતી સૂર્યપુત્રી તાપીનો પટ આજે પ્રદૂષણની સફેદ ચાદર નીચે ઢંકાયેલો જોવા મળ્યો હતો, જે શહેરની બગડતી હવાની ગુણવત્તાનો પુરાવો છે. AQI 350ને પાર: સુરત હવે દિલ્હી બનવા તરફ અગ્રેસર?સુરત શહેરની હવાની શુદ્ધતા માપતો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) આજે ચિંતાજનક સપાટીએ પહોંચી ગયો છે. સામાન્ય દિવસોમાં જે આંકડો 93ની આસપાસ રહેતો હોય છે, તે આજે ઉછળીને 350ને પાર કરી ગયો હતો અને અમુક વિસ્તારોમાં તો 360ની નજીક પહોંચી રહ્યો છે. આ આંકડા દર્શાવે છે કે સુરતની હવા હવે 'ખૂબ જ નબળી' શ્રેણીમાં આવી ગઈ છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે પ્રદૂષણના મામલે સુરત હવે દેશની રાજધાની દિલ્હીને ટક્કર આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, જે સુરતીઓ માટે મોટી ખતરાની ઘંટડી છે. ઔદ્યોગિક એકમોના ઝેરી ધુમાડાનો કહેરસુરતમાં પ્રદૂષણના આ આકસ્મિક વધારા પાછળ શહેરની આસપાસ આવેલા અનેક ઔદ્યોગિક એકમોને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. જીઆઈડીસી વિસ્તારોમાંથી છોડવામાં આવતો કેમિકલયુક્ત ઝેરી ધુમાડો અને પવનની ગતિ ઓછી હોવાને કારણે પ્રદૂષણના કણો હવામાં જ જમા થઈ રહ્યા છે. પ્રતિદિન વધી રહેલા આ પ્રદૂષણ પાછળ તંત્રની નબળી કામગીરી અને ઉદ્યોગો દ્વારા પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન મુખ્ય કારણ હોવાનું મનાય છે. આ ઝેરી હવા સીધી રીતે લોકોના શ્વાસમાં જઈ રહી છે, જે લાંબે ગાળે ફેફસાની ગંભીર બીમારીઓ નોતરી શકે છે. લોકોના સ્વાસ્થ્ય સામે ઊભા થયેલા જોખમોવાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધતા સુરતના નાગરિકો હવે પોતાના પરિવારના સ્વાસ્થ્યને લઈને ભારે ચિંતાતુર બન્યા છે. શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને ગળામાં ઇન્ફેક્શન જેવી ફરિયાદોમાં વધારો થયો છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે આ પ્રદૂષિત હવા અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. જો આગામી દિવસોમાં પ્રદૂષણના સ્ત્રોત પર નિયંત્રણ મેળવવામાં નહીં આવે, તો સુરતની 'સ્માર્ટ સિટી'ની ઓળખ જોખમાશે અને શહેર 'પ્રદૂષિત નગરી' તરીકે ઓળખવા લાગશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 2:47 pm

CBI કોર્ટે 3 આરોપીઓને 3 વર્ષની સજા ફટકારી:એક્સાઈઝ ડ્યુટીના રિબેટમાં રૂ. 1.18 કરોડની છેતરપિંડી મામલે વર્ષ 2009માં ગુનો નોંધાયો હતો

અમદાવાદની સીબીઆઈ કોર્ટે એક્સાઈઝ ડ્યૂટીના રિબેટમાં છેતરપિંડી કરીને લાભ મેળવવાના કેસમાં ત્રણ ખાનગી વ્યક્તિઓને દોષિત ઠેરવીને ત્રણ વર્ષની કેદ તથા દરેકને 50 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે. દોષિત ઠેરવાયેલા આરોપીઓમાં સમીર ફતેહ મહમ્મદ ઇમામુદ્દીન, તેજસ અરવિંદ દેસાઈ અને અમિત મુરારીલાલ ગુપ્તાનો સમાવેશ થાય છે. વર્ષ 2009માં CBIએ કેસ નોંધ્યો હતોCBI એ આ કેસ ફેબ્રુઆરી, 2009 માં રોજ મેસર્સ સાઈ ઈમ્પેક્સ, રફાળિયા ઘનશ્યામ ગોરધનભાઈ, તેજસ દેસાઈ, સુરત તથા અન્ય અજ્ઞાત વ્યક્તિઓ સામે નોંધ્યો હતો. તેઓની સામે આરોપ હતો કે, આરોપીઓએ પરસ્પર ગુનાહિત સાંઠગાંઠ રચી મેસર્સ સાઈ ઈમ્પેક્સના નામે નકલી દસ્તાવેજોને વાસ્તવિક નિકાસ દસ્તાવેજ તરીકે રજૂ કરીને 51 રિબેટ ક્લેમ અરજીઓ મારફતે કુલ 1.18 કરોડની રિબેટ છેતરપિંડીથી મેળવી હતી. જેના કારણે સેન્ટ્રલ એક્સાઈઝ સુરતને નુકસાન થયું હતું. આરોપીઓને 3 વર્ષની સજા અને 50 હજારનો દંડતપાસ પૂર્ણ થયા બાદ CBI એ 30 નવેમ્બર, 2009ના રોજ સમીર ફતેહ મહમ્મદ ઇમામુદ્દીન, ઘનશ્યામ ગોરધન રફાળિયા, તેજસ અરવિંદભાઈ દેસાઈ અને અમિત મુરારીલાલ ગુપ્તા સામે ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે ટ્રાયલ બાદ સમીર ફતેહ મહમ્મદ ઇમામુદ્દીન, તેજસ અરવિંદભાઈ દેસાઈ અને અમિત મુરારીલાલ ગુપ્તાને દોષિત ઠેરવીને ઉપરોક્ત સજા ફટકારી છે. આરોપી ઘનશ્યામ ગોરધન રફાળિયાનું ટ્રાયલ દરમિયાન અવસાન થતાં કોર્ટે તેના વિરુદ્ધનો કેસ અબેટેડ જાહેર કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 2:44 pm