પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતનસિંહ પરમાર ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. તેમના પક્ષપલટાથી નારાજ કોંગ્રેસ કાર્યકરોએ ગોધરા સ્થિત જિલ્લા કાર્યાલય ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ ચેતનસિંહ પરમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે પરમારના પોસ્ટરોનું દહન કરી 'હાય-હાય'ના નારા લગાવ્યા હતા, જેનાથી વાતાવરણ તંગ બન્યું હતું. ચેતનસિંહ પરમાર લાંબા સમયથી પંચમહાલ જિલ્લા કોંગ્રેસના સંગઠનમાં સક્રિય હતા અને જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા હતા. તેમના ભાજપમાં જોડાવાથી કોંગ્રેસ છાવણીમાં આઘાત લાગ્યો છે. કોંગ્રેસના પાયાના કાર્યકરોએ આ પક્ષપલટાને 'ગદ્દારી' ગણાવી છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે પક્ષે જેમને માન-સન્માન અને પદ આપ્યું, તેમણે જ પક્ષ સાથે છેતરપિંડી કરી છે.
ભરૂચની સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, કેમ્પસ ડિરેક્ટર અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યોને અમદાવાદ અને સુરત ખાતે યોજાયેલા શિક્ષણ સમિટ અને લીડરશિપ કાર્યક્રમોમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં “Redefining Education Skilling for a Viksit Gujarat, Viksit Bharat” વિષયક શિક્ષણ સમિટ યોજાઈ હતી. આ સમિટમાં ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસુદન રુંગટા અને કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલ ઉપસ્થિત રહ્યા હતા. સમિટ દરમિયાન નવી શિક્ષણ નીતિ 2020, ડિજિટલ લર્નિંગ, સ્કિલ ડેવલપમેન્ટ, સમાવેશી શિક્ષણ અને ભવિષ્યમુખી શિક્ષણ મોડેલ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નિષ્ણાતોના માર્ગદર્શનથી શિક્ષણ ક્ષેત્રની નવી દિશાઓ અંગે મૂલ્યવાન માહિતી પ્રાપ્ત થઈ. આ પ્રસંગે, કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલને ભવિષ્યમુખી શૈક્ષણિક વિચાર માટે વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સુરત ખાતે આયોજિત “લીડરશિપ રીટ્રીટ” કાર્યક્રમમાં સંસ્કાર વિદ્યાભવનના પ્રિન્સિપાલ શૈલજા સિંહ અને રુંગટા વિદ્યાભવનના પ્રિન્સિપાલ દિવ્યજીતસિંહ ઝાલાને સન્માનિત કરાયા હતા. શૈલજા સિંહ અને એકેડેમિક કોઓર્ડિનેટર રાધિકા પંડ્યાએ “ફ્યુચર રેડી ડિજિટલ સ્કૂલ” વિષયક સત્રમાં ભાગ લીધો હતો. ટ્રસ્ટના સંચાલકોએ જણાવ્યું કે આવા શૈક્ષણિક મંચોમાં ભાગ લેવાથી સંસ્થાઓને નવી વિચારસરણી અપનાવવા, આધુનિક શિક્ષણ પદ્ધતિઓ અમલમાં મૂકવા અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત તથા ભવિષ્યમુખી શિક્ષણ પૂરું પાડવા માટે પ્રેરણા મળે છે. આ સમગ્ર કાર્યક્રમોમાં સંસ્કાર ભારતી ટ્રસ્ટની શૈક્ષણિક ગુણવત્તા, નેતૃત્વ વિકાસ અને સતત વ્યાવસાયિક વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા ફરી એકવાર ઉજાગર થઈ હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર અને રાજકીય પક્ષોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ ઉમેદવારી ફોર્મની ચકાસણી અને નામ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, જેનાથી ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થયું છે. જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો માટે 136 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. હવે 98 ઉમેદવારો મેદાનમાં છે. આમાં ભારતીય જનતા પાર્ટીના 32, કોંગ્રેસના 31 અને આમ આદમી પાર્ટીના 31 ઉમેદવારો વચ્ચે મુખ્ય જંગ ખેલાશે. જિલ્લા પંચાયત સ્તરે મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે, જેમાં અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારો પણ પોતાની હાજરી નોંધાવી રહ્યા છે. શહેરી વિસ્તારમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો પર પણ રસાકસી જામી છે. મહાનગરપાલિકામાં કુલ 194 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાંથી ચકાસણી બાદ 155 ફોર્મ માન્ય રહ્યા હતા. આખરે 136 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ અને કોંગ્રેસે તમામ 52 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. આ ઉપરાંત, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં છે. જિલ્લાની 10 તાલુકા પંચાયતો જેવી કે સાયલા, લીંબડી, ચોટીલા, લખતર, વઢવાણ, ચુડા, મુળી, દસાડા, ધ્રાંગધ્રા અને થાનગઢની કુલ 180 બેઠકો પર પણ લોકશાહીનો જંગ તેજ બન્યો છે. આ બેઠકો માટે કુલ 512 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે 7 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ અને પારદર્શક મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. નગરપાલિકા વિસ્તારોમાં મતદારોનો ઉત્સાહ જોતા આ વખતે ઊંચું મતદાન થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.
સુરતના ઉત્રાણ વિસ્તારના 'શાલીગ્રામ સ્ટેટ્સ' જેવી પોશ સોસાયટીમાં ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન 'પ્રસાદ'નો ઉપયોગ કરી એક પરિવારને મોતના મુખમાં ધકેલવાનો પૂર્વઆયોજિત પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં જેની પર શંકા હતી એ જ મહિલા આરોપી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે પોલીસે ભોગ બનનારના પાડોશી મહિલા સામે ફરિયાદ નોંધી છે. ઉષાબેન મહેન્દ્રભાઇ નાકરાણી (રહે.ફલેટ નં.એફ/૧૧૦૪, શાલીગ્રામ સ્ટેટસ, ઉત્રાણ) સામે BNS 123 (ગુનાહિત ઈરાદાથી ઝેર વગેરે દ્વારા ઈજા પહોંચાડવી) હેઠળ ગુનો નોંધાયો
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા.’
બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા ખેડૂતોને આકર્ષવા માટે પ્રચાર અભિયાન શરૂ કરાયું છે. બોટાદ જિલ્લા ભાજપના પ્રભારી દશરથસિહ ઠાકોર, તેમજ કિસાન મોરચા ના મહામંત્રી મંગળસિંહ ટાક તેમજ આગેવાનોએ જિલ્લાના સમઢીયાળા તેમજ સેથળી ગામે ખેડૂતો સાથે ખાટલા બેઠકો યોજી હતી. આ બેઠકોમાં ખેડૂતો સાથે સીધી મુલાકાત કરીને સરકારની ખેડૂતલક્ષી નીતિઓ અને યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી રહી છે. સાથે જ, આગામી ચૂંટણીમાં વધુમાં વધુ ખેડૂતો ભાજપને મતદાન કરે તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે.
રાજકોટ શહેરમાં મિત્રતાના પવિત્ર સંબંધને લાંછન લગાડતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં રહેતા એક મહિલાના ઘરે પાડોશમાં રહેતી તેની જ બહેનપણીએ કપડાં બદલવાના બહાને ઘરમાં પ્રવેશ કરી, કબાટમાં રાખેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરતા ચકચાર મચી જવા પામી છે. ભોગ બનનાર મહિલાએ બી ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના કુવાડવા રોડ પર આવેલ ડિમાર્ટ પાછળ શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં રહેતા શિતલબેન સંજયભાઈ લિંબાસિયા ગત તા.12.04.2026ના રોજ બપોરના પોતાના ઘરે હતા ત્યારે તેમના જ પાડોશમાં રહેતી તેમની બહેનપણી મુસ્કાન રિયાજભાઈ સરવદી આવી હતી. મુસ્કાને આવી ફરિયાદીને જણાવ્યું હતું કે તેણે એક પ્રસંગમાં જવાનું હોવાથી તેને સારી સાડી જોઈએ છે. શિતલબેન પોતાની બહેનપણી પર વિશ્વાસ રાખી તેને પોતાની સાડીઓ બતાવી હતી. દરમિયાન મુસ્કાને ચાલાકી વાપરી સિતલબેનને જણાવ્યું કે, મારે બ્લાઉઝનું ફિટિંગ ચેક કરવું છે અને કપડાં બદલવા છે, તમે રૂમની બહાર જાઓ મને શરમ આવે છે. જેથી શિતલબેન પોતાની મિત્રની વાત માની રૂમની બહાર નીકળ્યા હતા. આ પછી તકનો લાભ ઉઠાવી મુસ્કાને અંદરથી રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને કબાટમાં રાખેલી તિજોરીમાંથી દાગીનાની ચોરી કરી હતી. થોડીવાર બાદ મુસ્કાન બહાર નીકળી સાડી લઈને રવાના થઈ ગઈ હતી. ત્યારબાદ જ્યારે શિતલબેન કબાટ ચેક કર્યો ત્યારે તેમના હોશ ઊડી ગયા હતા કારણ કે તિજોરીમાંથી આશરે અડધા તોલાની સોનાની પાટલી, સોનાની કડીઓ, સોનાના દાણા, સોનાનું ”ઓમ” લખેલ પેન્ડન્ટ, ચાંદીની ઝાંઝરી અને રોકડ મળી કુલ રૂ.79,000ની મત્તા ગાયબ હતી. આ દિવસે તેમના પતિ બહારગામ હોવાથી તાત્કાલિક ફરિયાદ કરી ન હતી. જો કે ગઈકાલે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી મુસ્કાનબેનની અટકાયત કરી તેની પાસેથી ચોરાઉ મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
બોટાદ જિલ્લા પંચાયત ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ગઢડા તાલુકાની માંડવધાર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપે પોતાનું કાર્યાલય શરૂ કર્યું છે. આ કાર્યાલય ઉમેદવાર વાલજી જાદવના સમર્થનમાં માંડવધાર ગામે ખોલવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોટાદ જિલ્લા ભાજપના પ્રભારી ઠાકોર, ભોળાભાઈ રબારી, વનરાજસિંહ ડાભી, અરવિંદભાઈ વનાળીયા સહિતના અગ્રણીઓ અને ગામના મોટી સંખ્યામાં મતદારો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના આગેવાનો ભોળાભાઈ રબારી અને સુરેશભાઈ ગોધાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકારોમાં લોકો પરેશાન થયા છે, જ્યારે ભાજપ સરકારે અનેક વિકાસના કાર્યો કર્યા છે, જેના કારણે લોકો ભાજપને મત આપે છે.
આર્મીમેનમાથી રાજકારણી બનેલા ધર્મેન્દ્રસિંહ રાજપૂતે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ વોર્ડ નંબર 19 માં ભાજપ અને કોંગ્રેસ બંને સામે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. ટિકિટ ન મળવાથી નારાજ ધર્મેન્દ્રસિંહે સોશિયલ મીડિયા દ્વારા કોંગ્રેસ પાર્ટી પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે અને તેમણે ચૂંટણી જીત્યા પછી જનતા માટે કામ કરવાની અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ રાજપૂતે વાયરલ વીડિયોમાં જણાવ્યું હતું કે, હું વોર્ડ નંબર 19માં ભાઈઓ બહેનોને એક દુઃખની વાત કહેવા માંગુ છું કે, હું આજે દુઃખના તોફાનમાં વહી રહ્યો છું. હું કારગિલનો યોધ્ધા રહ્યો છું. ત્યાં પણ મને એટલી તકલીફ પડી નથી. 2 મહિના સુધી યુદ્ધ ચાલ્યું હતું. બધા દુઃખ સહન કર્યા હતા. પણ કોંગ્રેસે ટિકિટ ન આપી એનું મને ખૂબ દુઃખ થયું છે, હું છાતી ફાડીને બતાવી શકું છું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાત્રે 2 વાગ્યે મારી ટિકિટ કાપવામાં આવી. કોંગ્રેસે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. મને દગો આપ્યો છે. દિલ્હીના નેતાઓએ ગદ્દારી કરી છે. મારી સાથે અન્યાય કર્યો છે. બન્ને પાર્ટીઓએ રાજનીતિને મંડી બનાવી દીધી છે. હું રાહુલ ગાંધીને આજે પણ સાચા દેશ ભક્ત માનું છું. તેઓએ વધુમાં કહ્યું કે, પૈસાના લોભે મારી ટિકિટ કાપી છે. મેં હંમેશા ડોર ટુ ડોર કેમ્પેનિંગ કર્યું છે. વોર્ડ નંબર 19ના લોકો હું તમારી સમસ્યાઓ દૂર કરવા માટે તૈયાર છું. તમે મને બહુમતથી જીતાડો. ગુજરાત અને દેશમાં એક મેસેજ જાય, કે એક દેશભક્ત નેતા બની શકે છે. બધા ઉમેદવારો બેઈમાન છે, અશિક્ષિત છે. પૈસાવાળા છે. એ તમારી સેવા નહીં કરી શકે. હું VMCને જીવવા નહીં દઉં. ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે.
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત, ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા જલોત્રા જિલ્લા પંચાયતની એક બેઠક અને પાંચ તાલુકા પંચાયતની બેઠકો માટે એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડગામ તાલુકાની જલોત્રા જિલ્લા પંચાયત બેઠકને હોટ ફેવરિટ માનવામાં આવે છે અને તેના પર સૌની નજર છે. આ બેઠકના ભાજપના ઇન્ચાર્જ અને પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળે સભાને સંબોધિત કરી હતી. પૂર્વ દાંતા ધારાસભ્ય વસંત ભટોળે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે ઉમેદવારો નથી, તેથી તેઓ બહારથી આયાતી ઉમેદવારો લાવીને ચૂંટણી લડાવી રહ્યા છે. તેમને તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો પર ઉમેદવાર મળતા નથી. વસંત ભટોળે વધુમાં કહ્યું કે, કોંગ્રેસને બહારથી ઉમેદવારો લાવવા પડે છે, પરંતુ હવે પ્રજા તેમને જવાબ આપશે. તેમણે ઉમેર્યું કે, ગત ટર્મમાં જલોત્રા બેઠક કોંગ્રેસ પાસે હતી, પરંતુ નર્મદાના નીર આવવાને કારણે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વસંત ભટોળે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જલોત્રા જિલ્લા પંચાયત સહિત પાંચ તાલુકા પંચાયતની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે.
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય તણાવ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા છે. તેમણે આરોપ મૂક્યો કે ભાજપ બિનહરીફ જીતની લ્હાયમાં રાજ્યમાં લોકશાહી પ્રણાલીને નુકસાન પહોંચાડી રહી છે. ફોર્મ પરત ખેંચાવવા ફિલ્મોની જેમ ગુંડાઓના ધાડા ઉતારવામાં આવ્યા- ઈટાલિયાઈટાલીયાએ જણાવ્યું કે, લગભગ 700 જેટલા ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવા માટે “ફિલ્મોની જેમ ગુંડાઓના ધાડા ઉતારવામાં આવ્યા”. તેમણે દાવો કર્યો કે વિરોધ પક્ષના ઉમેદવારોને ધમકી, અપહરણ અને ખોટી FIR દ્વારા દબાણમાં લાવવામાં આવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે રાજ્યમાં ગુંડાગર્દી અને પોલીસ તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર નિશાન સાધતા ઈટાલીયાએ આરોપ મૂક્યો કે તેમના નેતૃત્વ હેઠળ પોલીસનો “ભયંકર રીતે દુરુપયોગ” થયો છે. બિનહરીફ થવાથી આપ કે કોંગ્રેસ નુકસાન નથી, જનતાનો હક છીનવાયો- ઈટાલિયાAAP નેતાએ જણાવ્યું કે, “બિનહરીફ થવાથી AAP કે કોંગ્રેસને નુકસાન નથી, પરંતુ જનતાનો હક છીનવાઈ રહ્યો છે.” તેમણે ચેતવણી આપી કે જો વિપક્ષ નબળો પડશે તો જનતાનો અવાજ દબાઈ જશે. ઈટાલીયાએ ભાજપના કાર્યકર્તાઓને પણ અપીલ કરી કે તેઓ આ પ્રકારની રાજનીતિ સામે અવાજ ઉઠાવે. “આજે વિરોધીઓના અપહરણ થાય છે, કાલે ભાજપના જ લોકોનો વારો આવશે,” એમ તેમણે ઉમેર્યું. અંતમાં તેમણે કહ્યું કે 200 વર્ષના સંઘર્ષ પછી મળેલા મતાધિકારને આ રીતે ખતમ કરવાનો પ્રયાસ લોકશાહી માટે ઘાતક સાબિત થઈ શકે છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે, પંચમહાલ જિલ્લાના રાજકારણમાં મોટો ગરમાવો જોવા મળ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતનસિંહ પરમારે કોંગ્રેસ સાથેનો છેડો ફાડીને સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (BJP)નો હાથ પકડ્યો છે. ઘોઘંબા ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. મોટી સંખ્યામાં સમર્થકો સાથે પક્ષપલટો ચેતનસિંહ પરમાર માત્ર એકલા જ ભાજપમાં જોડાયા નથી, પરંતુ તેમની સાથે મોટી સંખ્યામાં જિલ્લાના પાયાના કાર્યકરો અને સમર્થકોએ પણ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. આ પક્ષપલટાને કારણે પંચમહાલમાં કોંગ્રેસના સંગઠનમાં મોટું ગાબડું પડ્યું છે. ખાસ કરીને ચૂંટણી ટાણે જ પ્રમુખનું પક્ષ છોડવું એ ભાજપ માટે રસ્તો મોકળો કરનારું સાબિત થઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી હતી અટકળો નોંધનીય છે કે, પાછલા એક અઠવાડિયાથી ચેતનસિંહ પરમાર પક્ષની પ્રવૃત્તિઓથી અંતર જાળવી રહ્યા હતા. છેલ્લા બે દિવસથી તેમણે પક્ષના હોદ્દેદારો કે પૂર્વ પ્રમુખોના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેતાં રાજકીય વર્તુળોમાં તેઓ પક્ષપલટો કરશે તેવી ચર્ચાઓ તેજ બની હતી, જેનો આજે અંત આવ્યો છે. ચૂંટણી ટાણે કોંગ્રેસની કફોડી સ્થિતિ એક તરફ જિલ્લા પ્રમુખે રાજીનામું આપ્યું છે, તો બીજી તરફ આગામી ચૂંટણીઓ માટે કોંગ્રેસ પાસે ઉમેદવારોની પણ ભારે અછત જોવા મળી રહી છે. વર્તમાન આંકડાકીય સ્થિતિ પર નજર કરીએ તો: ચૂંટણીના જંગ વચ્ચે સંગઠનના વડાનું પક્ષ છોડવું એ કોંગ્રેસ માટે આત્મઘાતી પગલું સાબિત થઈ શકે છે. ઉમેદવારોની ઘટ અને આંતરિક જૂથવાદ વચ્ચે ઝઝૂમતી કોંગ્રેસ માટે પંચમહાલનો ગઢ બચાવવો હવે લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે. બીજી તરફ, ભાજપે આ તકનો લાભ ઉઠાવી જિલ્લામાં પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે.
રાજકોટ શહેરમાં પ્રથમ લગ્ન અંગેની વિગતો પત્ની અને કોર્ટ સામે છુપાવવી યુવકને ભારે પડી છે. બીજા લગ્નમાં મનમેળ ન થતાં આરોપીએ પત્ની અને પુત્રને તરછોડી દીધા જોકે કાયદાકીય લડાઈ વચ્ચે પત્નીના હાથમાં પતિએ કરેલા અગાઉના લગ્નના ડોક્યુમેન્ટ મળી આવતા ફરીયાદ નોંધાવી હતી આ કેસમાં કોર્ટે આરોપી પતિ આશિષ મગનલાલ કંટારીયાને ત્રણ વર્ષની સજા અને રૂ.20,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. રાજકોટ શહેરના નાનામવા રોડ પર વરદાન એપાર્ટમેન્ટમાં રહેતા આશિષ કંટારીયાએ વર્ષ 2006માં એક યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન સમયે આશિષે પોતે અપરિણિત હોવાનું જણાવી કોર્ટના કાગળોમાં પણ ખોટી વિગતો આપી હતી. આ લગ્નજીવન દરમિયાન તેમને એક પુત્રનો જન્મ થયો હતો. જોકે, લગ્નના સાત વર્ષ બાદ પત્નીને જાણ થઈ હતી કે આશિષે અગાઉ લગ્ન કરેલા છે. જ્યારે પત્નીએ આ બાબતે પૂછપરછ કરી ત્યારે આશિષે તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને અંતે પત્ની તથા પુત્રને તરછોડી દીધા હતા. ત્યારબાદ પરિણીતાએ આશિષના પ્રથમ લગ્નના પ્રમાણપત્ર અને ડાયવોર્સ પેપર મળી આવતા સત્ય સામે આવ્યું હતું. પતિએ કોર્ટ અને પત્ની બંનેને ગેરમાર્ગે દોર્યા હોવાનું જણાતા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ ડી. જે. વસવેલીયાએ દલીલો કરતા જણાવ્યું હતું કે, આરોપીએ રેકર્ડ પર પ્રથમ લગ્ન છુપાવ્યા હોવાનું સાબિત થયું છે. આરોપી સામે અગાઉ પણ કલમ 406 હેઠળ ગુનો નોંધાઈ ચુક્યો છે જેમાં તેને સજા થયેલી છે. બંને પક્ષોની રજૂઆતો અને સાક્ષીઓની જુબાની બાદ કોર્ટે આરોપી આશિષ કંટારીયાને ૩ વર્ષની કેદ અને રૂ.20,000 દંડનો આદેશ કર્યો છે. જો દંડ ન ભરે તો વધુ એક માસની સજા ભોગવવી પડશે.
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીઓમાં અભ્યાસ કરતા હજારો બાળકો માટે મધ્યાહન ભોજન આશીર્વાદ સમાન હોય છે, પરંતુ વહીવટી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આજે આ વ્યવસ્થા પડી ભાંગી હતી. રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સમયસર ચોખા ઉપરાંત તેલનો જથ્થો પણ ફાળવવામાં ન આવતા 365 આંગણવાડીના 18000 બાળકોને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા તેલ અને ચોખાના જથ્થાની ફાળવણી કરી દેવામાં આવી હોવા છતાં, જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સમયસર રિલીઝ ઓર્ડર નહીં આપવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જેને લઈ આંગણવાડીના ઇતિહાસમાં પ્રથમ એવી ઘટના બની કે સરકારી અનાજ ગોડાઉનમાં પડ્યું હોવા છતાં બાળકોને ઘરેથી નાસ્તો લાવવાની સૂચના આપવી પડી હતી. જોકે આજરોજ જથ્થો ફાળવી દેવામાં આવ્યો હોવાથી એકાદ દિવસમાં સ્થિતિ સામાન્ય થવાની શક્યતા મનપાનાં અધિકારીએ વ્યક્ત કરી છે. રાજકોટ મહાપાલિકાના આઈ.સી.ડી.એસ. (ICDS) વિભાગ હેઠળ સેન્ટ્રલ ઝોનમાં 122, ઈસ્ટ ઝોનમાં 152 અને વેસ્ટ ઝોનમાં 182 મળી કુલ 365 આંગણવાડીઓ કાર્યરત છે. આંગણવાડીઓમાં 3 થી 6 વર્ષના બાળકો ઉપરાંત સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓને પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવે છે. આ માટે ખાસ રાજ્ય સરકારના અન્ન અને પુરવઠા નિગમ દ્વારા નિયમિતપણે તેલ અને ચોખાનો જથ્થો ફાળવવામાં આવે છે. આ જથ્થો સેન્ટ્રલાઈઝ્ડ ગોડાઉનમાં પહોંચ્યા બાદ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા તેના રિલીઝ ઓર્ડર આપવામાં આવે છે, જે બાદ લેબોરેટરી ટેસ્ટિંગ કરાવીને રસોડા સુધી પહોંચાડવામાં આવે છે. આ સમગ્ર વિવાદની વિગત એવી છે કે, રાજ્ય સરકાર દ્વારા ગત 8 એપ્રિલના રોજ જ તેલ અને ચોખાનો જરૂરી જથ્થો ફાળવી દેવામાં આવ્યો હતો. છતાય રાજકોટ જિલ્લા કલેક્ટર હસ્તકના પુરવઠા વિભાગે આ જથ્થો રિલીઝ કરવા માટે જરૂરી પ્રક્રિયામાં વિલંબ કર્યો હતો. પુરવઠા વિભાગના અધિકારીઓએ રિલીઝ ઓર્ડર નહીં આપતા ગોડાઉન મેનેજર દ્વારા જથ્થો રસોડા સુધી પહોંચાડવામાં આવ્યો નહોતો. નિયમ મુજબ જથ્થો આવ્યા બાદ તેનું લેબોરેટરી ટેસ્ટિંગ અનિવાર્ય છે, પરંતુ ઓર્ડરના અભાવે ટેસ્ટિંગની પ્રક્રિયા પણ અટકી પડી હતી. પરિણામે, સતત બે દિવસ સુધી આંગણવાડીના રસોડામાં તેલ અને ચોખાનો પુરવઠો ખૂટી પડ્યો હતો. જ્યારે પરિસ્થિતિ ગંભીર બની ત્યારે આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારી પૂજાબેન જોષીએ પુરવઠા વિભાગ અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગોમાં તાત્કાલિક રજૂઆતો કરી હતી. પરંતુ તંત્રની નિષ્ક્રિયતાને કારણે આંગણવાડીના સંચાલકોએ વાલીઓને ફોન કરીને કે સંદેશા મોકલીને બાળકોને ઘરેથી નાસ્તો લાવવા માટે સૂચના આપવી પડી હતી. જે બાળકો મધ્યાહન ભોજન પર નિર્ભર છે, તેવા ગરીબ અને મધ્યમ વર્ગના 18000 ભૂલકાઓએ આ સરકારી અંધેરવહીવટના કારણે ભૂખ વેઠવી પડી હતી. આ ઘટનાએ પુરવઠા વિભાગની કાર્યપ્રણાલી પર અનેક સવાલો ઉભા કર્યા છે. આઈસીડીએસ વિભાગના અધિકારી પૂજાબેન જોષીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેલ અને ચોખાનો પુરવઠા વિભાગ તરફથી ન મળ્યો હોવાને કારણે બાળકોને ઘરેથી નાસ્તો લાવવા સૂચના આપવામાં આવી હતી. જોકે આજે બપોર બાદ તાત્કાલિક ધોરણે તેલ અને ચોખાના જથ્થાની ફાળવણી કરી દેવામાં આવી છે. જેને લઈને એકાદ દિવસમાં જ પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. આંગણવાડીનાં ઇતિહાસમાં કદાચ સૌપ્રથમ વખત બાળકોને નાસ્તો આપવામાં નહીં આવ્યો હોવાનો બનાવ બન્યો છે. ભવિષ્યમાં આ પ્રકારના કોઈ બનાવ ન બને તે માટે પુરવઠા વિભાગ સાથે અગાઉથી સંકલન કરી લેવાની ખાતરી પણ તેમણે આપી હતી. ઉલ્લેખનીય છે કે, આજે રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડીઓમાં મધ્યાહન ભોજન યોજનામાં થયેલો આ વિક્ષેપ તંત્ર માટે લાલબત્તી સમાન છે. ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના ન બને તે માટે સેન્ટ્રલાઈઝ્ડ જથ્થા વિતરણની પ્રક્રિયાને વધુ વેગવંતી, પારદર્શક બનાવવી જરૂરી છે. નાના બાળકોના પોષણ સાથે જોડાયેલા આ સંવેદનશીલ મુદ્દે વહીવટી તંત્રની શિથિલતા કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય તેમ નથી. હાલ પૂરતો જથ્થો મળી જવાથી આગામી દિવસોમાં ભોજન વ્યવસ્થા રાબેતા મુજબ થશે, પરંતુ આજની હાડમારીએ સરકારી તંત્રની પોલ ખોલી નાખી છે.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલા બોડકા ગામની સીમમાં બુધવારે મોડીરાત્રે કિશોરની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ હત્યાના બનાવમાં કિશોરની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે આ હત્યા પાછળ કોણ છે અને કારણ શું છેવટે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નજીકથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવીબોડકા ગામમાં રહેતો કિશોર બુધવારે રાત્રે ગામની સીમમાં આવેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પાસેથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, કિશોરના શરીર પર ગંભીર ઈજાઓના નિશાન હતા, જે તેની હત્યા કરવામાં આવી હોવાનું સ્પષ્ટ રીતે દેખાય રહ્યું છે. ઘટનાની જાણ થતા જ આખું ગામ સીમમાં ઉમટી પડ્યું હતું અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે હત્યારાને રાઉન્ડ અપ કર્યોઘટનાની ગંભીરતાને જોતા કરજણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે કરજણના સરકારી દવાખાને ખસેડ્યો છે. હત્યારા સુધી પહોંચવા માટે પોલીસે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો સહારો લીધો છે, જેમાં ડોગ સ્ક્વોડ FSLની ટીમે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસે આરોપીને રાઉન્ડઅપ કર્યો હોવાની વિગતો સામે આવી છે. આ મામલે કરજણ DYSPને તપાસ સોંપવામાં આવી છે. આ અંગે DYSP પી.એન. પટેલે જણાવ્યું હતું કે, આ ઘટનાને લઈ પોલીસ તપાસ કરી રહી છે. હત્યા કરનાર આરોપીને અમે દબોચ્યો છે, આ અંગેની વિગતો અમે આપીશું હાલના કાર્યવાહી ચાલી રહી છે.
જૂનાગઢ મહાનગરપાલિકામાં વિકાસ અને વિવાદ વચ્ચે ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે. તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શાસક પક્ષ દ્વારા શહેરની કાયાપલટ કરવાના ઈરાદે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ જાહેર કરવામાં આવ્યા છે, તો બીજી તરફ વિપક્ષે આ આંકડાઓને માત્ર કાગળ પરના વાયદા ગણાવી જનતાની હાલાકી મુદ્દે તંત્ર પર માછલાં ધોયા છે. જૂનાગઢ શહેરના વિકાસ માટે કુલ ₹30.21 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોને આ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે, જેમાં અનેક મહત્વકાંક્ષી યોજનાઓનો સમાવેશ થાય છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જૂનાગઢના સર્વાંગી વિકાસ માટે તંત્ર કટિબદ્ધ છે. આ વખતની બેઠકમાં મુખ્ય 11 મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સૌથી મહત્વનો નિર્ણય વરસાદી પાણીના નિકાલ અને સંગ્રહ અંગે લેવાયો છે. જૂનાગઢના અનેક વિસ્તારોમાં ચોમાસામાં જળબંબોળની સ્થિતિ સર્જાય છે, જેનો કાયમી ઉકેલ લાવવા માટે રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ હેઠળ ખાસ ચેમ્બરો બનાવવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ માટે એજન્સીની નિમણૂક પણ કરી દેવામાં આવી છે. શાસકોનો દાવો છે કે આનાથી રસ્તા પર ભરાતા પાણીની સમસ્યા દૂર થશે અને ભૂગર્ભ જળના સ્તરમાં પણ વધારો થશે. પર્યાવરણની જાળવણી અને કચરાના નિકાલ માટે મહાનગરપાલિકાએ 'વેસ્ટ ટુ ચારકોલ' પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ પીપીપી ધોરણે ચાલશે, જેમાં મનપાએ કોઈ ખર્ચ કરવાનો રહેશે નહીં. ખાનગી એજન્સી શહેરના ડમ્પિંગ સાઈટ પરના કચરામાંથી કોલસો બનાવશે, જેનાથી કચરાના પહાડો ઓછા થશે. આ ઉપરાંત મધુરમ વિસ્તારમાં તૈયાર થયેલા હોકર્સ ઝોન માટે લાંબા સમયથી લટકતા નિયમોને આખરે મંજૂરી આપી દેવામાં આવી છે, જેથી નાના લારી-ગલ્લા ધારકોને વ્યવસ્થિત જગ્યા મળી શકશે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિકાસ માટે નરસિંહ સરોવર ખાતે 'વાંચન વલૂણું' નામની ઓપન લાયબ્રેરી શરૂ કરવાનો નિર્ણય પણ લેવાયો છે. વહીવટી મોરચે બેદરકારી દાખવનાર એજન્સીઓ સામે કડક વલણ અપનાવી બે કંપનીઓને કાળી યાદીમાં મૂકવામાં આવી છે. આ ઉપરાંત કર્મચારીઓના હિતમાં પણ કેટલાક નિર્ણયો લેવાયા છે, જેમાં એન્જિનિયરોના પગાર વધારા અને કેટલાક કર્મચારીઓને કાયમી કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. શાસક પક્ષના મતે આ તમામ નિર્ણયો જૂનાગઢને આધુનિક સુવિધાઓથી સજ્જ શહેર બનાવવામાં મદદરૂપ થશે. ગટર અને રોડ-રસ્તાના પ્રશ્નો માટે પણ આ બજેટમાં યોગ્ય જોગવાઈ કરવામાં આવી હોવાનું ચેરમેને ઉમેર્યું હતું. જોકે, શાસક પક્ષના આ તમામ દાવાઓને વિરોધ પક્ષના નેતા અદ્રેમાનભાઈ પંજે પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે ખૂબ જ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે વર્ષ 2021 થી 15મા નાણાપંચની અંદાજે ₹30 કરોડ અને 25 લાખ જેટલી રકમ સરકારી તિજોરીમાં વણવપરાયેલી પડી છે. જ્યારે એક તરફ જૂનાગઢની જનતા તૂટેલા રસ્તા, ઉભરાતી ગટરો અને પીવાના પાણીની સમસ્યાથી ગ્રામ્ય વિસ્તાર જેવું જીવન જીવવા મજબૂર છે, ત્યારે શાસકો ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે કહ્યું કે દર વખતે સ્ટેન્ડિંગમાં કરોડોના કામો પાસ થાય છે, પરંતુ જમીની હકીકત બદલાતી નથી અને લોકોની હાલાકી ઠેરની ઠેર છે. રેઈન વોટર હાર્વેસ્ટિંગના મુદ્દે વિપક્ષે ટેકનિકલ પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે અગાશીનું શુદ્ધ પાણી જમીનમાં ઉતારવાને બદલે રસ્તા પરનું ગંદુ પાણી જમીનમાં ઉતારવાની યોજના માત્ર ભ્રષ્ટાચાર કરવાની પેરવી છે. રસ્તા પરના પાણીમાં કચરો અને ઓઈલ જેવી અશુદ્ધિઓ હોય છે, જે ભૂગર્ભ જળને પ્રદૂષિત કરી શકે છે. વિપક્ષી નેતાના મતે આ પ્રોજેક્ટની સાચી સમજ ન તો અધિકારીઓને છે કે ન તો સ્ટેન્ડિંગ ચેરમેનને. આ માત્ર બજેટ વાપરી નાખવા માટેનું આયોજન હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. તેવી જ રીતે કચરામાંથી કોલસો બનાવવાના પ્લાન્ટ અંગે પણ તેમણે ભૂતકાળનો દાખલો આપતા કહ્યું કે અગાઉ ઈવનગર ખાતે ₹5 કરોડના ખર્ચે બનેલો ગેસ પ્લાન્ટ આજે બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યો છે. શાસકો નવા નવા પ્રોજેક્ટ્સ લાવીને માત્ર એજન્સીઓને ફાયદો કરાવતા હોવાનો સુર તેમણે વ્યક્ત કર્યો હતો. મધુરમ હોકર્સ ઝોન બનીને તૈયાર હોવા છતાં તેના નિયમો બનાવવામાં જે વિલંબ થયો તે પણ તંત્રની અણઆવડત હોવાનું વિપક્ષ માને છે. નાના ધંધાર્થીઓ લાંબા સમયથી સુવિધાની રાહ જોઈ રહ્યા છે અને શાસકો માત્ર વાહવાહી લૂંટવામાં વ્યસ્ત છે. શહેરની ગટર વ્યવસ્થા અંગે પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કરોડોના ખર્ચે ગટર લાઈનો નાખવામાં આવી હોવા છતાં સામાન્ય વરસાદમાં પણ જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. લોકોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકાના હોદ્દેદારો માત્ર વાયદાઓ કરવામાં માહિર છે, પરંતુ કામની ગુણવત્તામાં કોઈ સુધારો જોવા મળતો નથી. મનપા બન્યાને વર્ષો વીત્યા હોવા છતાં પાયાની જરૂરિયાતો માટે પણ લોકોએ વલખાં મારવા પડે છે. કર્મચારીઓના પ્રશ્નો અને એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવાની બાબતને પણ વિપક્ષે શાસકોની વહીવટી નિષ્ફળતા ગણાવી છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો એજન્સીઓ કામ નથી કરતી તો અત્યાર સુધી શા માટે રાહ જોવામાં આવી? આમ, એક તરફ શાસક પક્ષ ₹30 કરોડથી વધુના ખર્ચે વિકાસની ગુલબાંગો પોકારી રહ્યો છે, ત્યારે બીજી તરફ વિપક્ષે ગ્રાન્ટના બિનઉપયોગ અને ભ્રષ્ટાચારના મુદ્દે જનતાની અદાલતમાં શાસકોને ઊભા રાખી દીધા છે. હવે જોવાનું એ રહે છે કે આ નવા મંજૂર થયેલા કામો ખરેખર સમયસર પૂર્ણ થાય છે કે પછી દર વખતની જેમ માત્ર કાગળ પરના આંકડા અને જનતા સાથેની છેતરપિંડી બનીને રહી જાય છે. જૂનાગઢની જનતા હવે વાયદા નહીં પણ નક્કર કામગીરી ઈચ્છી રહી છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે ડોર-ટુ-ડોર કેમ્પેનિંગ સુધી પહોંચ્યો છે. રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારોને રીઝવવા માટે સોસાયટીએ સોસાયટીએ ફરી રહ્યા છે, પરંતુ સુરતના વોર્ડ નંબર 7 (કતારગામ-વેડ) વિસ્તારમાં ભાજપ માટે સ્થિતિ ક્ષોભજનક બની હતી. પ્રચાર કરવા નીકળેલા ભાજપના ઉમેદવાર રઘુભાઈ કુંતને એક જાગૃત મતદાતાએ ગેરકાયદેસર બાંધકામ અને ડિમોલિશનના મુદ્દે જાહેરમાં તતડાવી નાખ્યા હતા. મતદાતાએ સીધો આક્ષેપ કર્યો હતો કે, સત્તાનો દુરુપયોગ કરીને ડિમોલિશન કરવામાં આવે છે, જે સાંભળી ઉમેદવારો અને કાર્યકરોમાં સોંપો પડી ગયો હતો. ગેરકાયદે બાંધકામ મુદ્દે મતદાતાના તીખા સવાલોવોર્ડ નંબર 7માં જ્યારે ભાજપના ઉમેદવારોની પેનલ પ્રચાર અર્થે પહોંચી, ત્યારે સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ખાસ કરીને રઘુ કુંત સામે એક મતદાતાએ મોરચો માંડ્યો હતો. મતદાતાએ આક્ષેપ કર્યો હતો કે વહીવટી તંત્રની ડિમોલિશનની કામગીરીમાં નેતાઓની દખલગીરી વધી રહી છે. ગેરકાયદે બાંધકામ હટાવવાના નામે સામાન્ય લોકોને હેરાન કરવામાં આવતા હોવાનો સૂર સ્થાનિકોમાં જોવા મળ્યો હતો. મતદાતાએ અન્ય કાર્યકરોની હાજરીમાં જ રઘુભાઈને સવાલો પૂછવાનું શરૂ કરતા વાતાવરણ ગરમાયું હતું. મારી પાસે પ્રૂફ છે, હું જાહેરમાં કહેવા તૈયાર છુંમતદાતાએ રઘુ કુંતને ઉદ્દેશીને જાહેરમાં ગર્જના કરતા કહ્યું હતું કે, અમે તમને વ્યક્તિગત રીતે ઓળખતા નથી પરંતુ તમારું નામ સાંભળ્યું છે. નંદુ દોશી વાડીમાં જે 10 મકાનો હટાવ્યા અને સમજુબા હોસ્પિટલ પાસે જે કામગીરી થઈ, તેમાં તમે કેટલી વાર ડિમોલિશન કરાવ્યું છે એ હું સારી રીતે જાણું છું. મારી પાસે આ તમામ બાબતોના પાકા પ્રૂફ (પુરાવા) છે. હું જાહેરમાં આ બધું કહેવા તૈયાર છું કે તમે ક્યાં અને કેવી રીતે ડિમોલિશન કરાવ્યું છે. મતદાતાના આ રોકડા નિવેદન બાદ ભાજપના નેતાઓ પાસે કોઈ જવાબ રહ્યો નહોતો. ક્ષોભજનક સ્થિતિમાં મુકાયેલા નેતાઓએ ચાલતી પકડવી પડીમતદાતા દ્વારા જ્યારે પુરાવા સાથે ડિમોલિશનના આક્ષેપો કરવામાં આવ્યા, ત્યારે પ્રચારમાં સાથે રહેલા ભારતીય જનતા પાર્ટીના અન્ય ઉમેદવારો અને સેંકડો કાર્યકર્તાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. સોસાયટીના અન્ય રહીશો પણ એકઠા થઈ જતા મામલો વધુ બિચકવાની શક્યતા હતી. મતદાતાનો આક્રોશ અને ગંભીર આક્ષેપોને જોતા, પરિસ્થિતિ કાબૂ બહાર જાય તે પહેલાં જ રઘુ કુંત સહિતના તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓએ ત્યાંથી એક પછી એક વિલા મોઢે વિદાય લેવી પડી હતી. આ ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કતારગામ-વેડમાં ભાજપ સામે સ્થાનિકોની નારાજગીસુરતનો કતારગામ અને વેડ રોડ વિસ્તાર ભાજપનો ગઢ માનવામાં આવે છે, પરંતુ આ વખતે ગેરકાયદે બાંધકામ, પ્રોપર્ટી ટેક્સ અને ડિમોલિશન જેવા સ્થાનિક મુદ્દાઓ ઉમેદવારો માટે માથાનો દુખાવો બની રહ્યા છે. વોર્ડ નંબર 7માં જોવા મળેલો આ વિરોધ એ વાતનો સંકેત છે કે મતદારો હવે માત્ર પક્ષના નામ પર નહીં, પરંતુ સ્થાનિક સ્તરે થયેલા વહીવટ અને નેતાઓની કામગીરી પર નજર રાખી રહ્યા છે. રઘુ કુંત સામેનો આ આક્રોશ આગામી દિવસોમાં અન્ય ઉમેદવારો માટે પણ ચેતવણી સમાન છે.
સુરત-બારડોલી રોડ પર અધૂરું કામ:સરદાર માર્કેટ પાસે સુરક્ષા વિના વાહનચાલકોને જોખમ
સુરતના વ્યસ્ત સુરત-બારડોલી રોડ પર સરદાર માર્કેટ પાસે ફુટ ઓવર બ્રિજ નજીક કોન્ટ્રાક્ટર દ્વારા ચાલી રહેલું કામ અધૂરું છોડી દેવાયું છે. આ કામ શરૂ કર્યા બાદ સ્થળ પર કોઈ પૂર્વ સૂચના, સાવધાનીના બોર્ડ કે સુરક્ષા બેરિકેડ લગાવવામાં આવ્યા નથી. રોડની વચ્ચે અધૂરું છોડી દેવાયેલું આ કામ રાત્રિના સમયે અંધારામાં વાહનચાલકોને સ્પષ્ટ દેખાતું નથી. આના કારણે ગંભીર અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. આ રોડ ચોવીસ કલાક ભારે ટ્રાફિકથી ધમધમતો રહે છે, જ્યાંથી દરરોજ હજારો વાહનચાલકો પસાર થાય છે. કોઈપણ 'ડેન્જર' સાઈન કે રેડિયમ સ્ટીકર વગર કામ અધૂરું છોડી દેનાર એજન્સી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મહેસાણા જિલ્લા ભાજપમાં શિસ્તભંગના મામલે પક્ષ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા અને સંગઠનની શિસ્તનો ભંગ કરવા બદલ ભાજપના 6 સક્રિય સભ્યોને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ યાદીમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર જેવા નેતાઓનો પણ સમાવેશ થાય છે. ચૂંટણીમાં પક્ષ સામે ઉમેદવારી કરવાનું પડ્યું ભારેમળતી માહિતી મુજબ આ સભ્યોએ પક્ષના આદેશ વિરુદ્ધ જઈને ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી અથવા પક્ષની નીતિ-રીતિ વિરુદ્ધ વર્તન કર્યું હતું. શિસ્ત સમિતિના અહેવાલ બાદ જિલ્લા ભાજપે કડક વલણ અપનાવી તમામ 6 સભ્યોનું સભ્યપદ રદ કર્યું છે. આ સભ્યો સામે કાર્યવાહી કરવામાં આવીપક્ષે જે સભ્યો સામે લાલ આંખ કરી છે તેમાં વડનગર તાલુકાના સુંઢિયા ગામના અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જયંતિભાઈ એલ. પટેલ મુખ્ય છે. તેમની સાથે જ વડનગરના સુલીપુર ગામના શક્તિ કેન્દ્ર સંયોજક કિરણ ચેહાજી ઠાકોર અને સુંઢિયાના જ સક્રિય સભ્ય ચીંકલભાઈ જે. પટેલ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, કડી તાલુકાના મેંડા આદરજ ગામના અવિનાશ બિપિનભાઈ ચાવડા, વિજાપુરના ટીટોદણ ગામના વિજયભાઈ ગોવિંદભાઈ પટેલ અને વિસનગરના પૂર્વ કોર્પોરેટર દર્શનભાઈ ભીખુભાઈ પરમાર સામે પણ પક્ષે સસ્પેન્શનના આદેશ જારી કર્યા છે.ભાજપના આ આકરા પગલાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સંગઠનમાં શિસ્ત સર્વોપરી છે અને પક્ષ વિરુદ્ધ જનાર કોઈ પણ વ્યક્તિને સાંખી લેવામાં આવશે નહીં.
મહેસાણાના કડી પોલીસ મથકે ફેબ્રુઆરી,2026માં આરોપી દંપતી મિતેશ સાધુ અને ફાલ્ગુની સાધુ સામે વકીલ ન હોવા છતાં બીજા વકીલનું નામ ધારણ કરીને ફરિયાદીને દસ્તાવેજો, અરજી, નોટિસ બનાવીને 3.27 લાખ રૂપિયા પડાવી લેવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. કડીમાં ઓફિસ ધરાવતા આ દંપતીએ પોતાને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલ તરીકે જણાવી આંતરરાષ્ટ્રીય કેસો લડનાર તરીકેની છાપ ઊભી કરી દેશભરમાં તેમની બ્રાન્ચો આવેલી છે, તેમ જણાવી ફરિયાદીને છેતર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વકીલની ખોટી ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવ્યાનો આક્ષેપકેસને વિગતે જોતા એક ફરિયાદીને એક વ્યક્તિ પાસેથી 6 લાખ રૂપિયા લેવાના હતા. જે સંદર્ભે તેમને રસ્તામાં આવતા જતા ઉપરોક્ત ફાલ્ગુની અને મિતેશ સાધુની વકીલની ઓફિસ જોઈ હતી જેનો તેઓએ સંપર્ક કર્યો હતો. ત્યારે જેની પાસેથી 6 લાખ રૂપિયા લેવાના છે તેની પત્નીએ ફરિયાદી સામે દુષ્કર્મની ફરિયાદ કરી છે. તેમ કહીને જુદા જુદા હેડ હેઠળ આરોપીઓએ ફરિયાદી પાસેથી 3.27 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ ઓફિસે તાળું મારી દીધું હતું. ફરિયાદીએ તપાસ કરાવતા જાણવા મળ્યું હતું કે, આવા કોઈ વકીલ નથી અને બંને પતિ પત્ની પાસે કોઈ ડીગ્રી કે સનદ જ નથી. આરોપીઓની ધરપકડની દહેશતને પગલે ફાલ્ગુની સાધુએ મહેસાણાની અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જેમાં તેના તરફથી વકીલે રજૂઆત કરી હતી કે, ફરિયાદીએ કેસના પૈસા આપવા પડે નહીં, એટલા માટે ઉપજાવી કાઢેલી બાબતો અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવી છે. અરજદાર ફક્ત રેવન્યુ અને દસ્તાવેજનું કામ કરતા હતા. તે કાયદાના વિદ્યાર્થી છે અને છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપી હતી. અરજદારના દિયર એડવોકેટ છે, તેથી તેઓ જમીન અને રેવન્યુનું કામ તેમના વતી લેતા હતા. વકીલના અને કડી PIના બનાવટી સિક્કા મળી આવ્યા હતાસામે સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી પાસે સનદ નથી. તેમનું વીઝીટીંગ કાર્ડમાં પોતે વકીલ હોવાનું જણાવ્યું હતું. આમ નકલી વીઝીટીંગ કાર્ડ બનાવ્યું હતું. તેમની ઓફિસમાંથી નોટરીના બનાવટી સિક્કા મળી આવ્યા છે, તેમજ કડી PIના પણ બનાવટી સિક્કા મળી આવ્યા છે. તેઓએ પોતાની છાપ હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટના પ્રખ્યાત વકીલ તરીકે ઉપજાવી હતી. મહેસાણાની કોર્ટે નોંધ્યું હતું કે, આ ફરિયાદ નોંધાતા એક વ્યક્તિ સામે આવ્યો છે. જેને પાસેથી આરોપીઓ 7 લાખ રૂપિયા લીધા છે. તેથી આરોપીઓની કસ્ટોડિયલ પૂછપરછની જરૂર હોવાથી તેમની આગોતરા જામીન અરજી નકારી કાઢવામાં આવે છે. મહેસાણાની કોર્ટે મહિલા આરોપીની આગોતરા જામીન અરજી નકારી કાઢતા તેને ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા અરજી દાખલ કરી હતી. જેમાં તેના વકીલ રજૂઆત કરી હતી કે ફરિયાદીએ મોડી ફરિયાદ નોંધાવી છે. અરજદાર એક જુનિયર ઇન્ટર્ન છે, તેમને કોઈ વકીલાત પત્ર આજ સુધી કોઈ પણ કોર્ટમાં ફાઇલ કર્યું નથી. તેઓ પોતાના દિયર જેઓ વકીલ છે, તેના માટે રેવન્યુનું કામકાજ કરતા હતા. તેમને ફક્ત ફરિયાદીના પ્રશ્નોને સોલ્વ કરવા પ્રયત્ન કર્યો છે. ફરિયાદી ફી આપવા માંગતા ન હોવાથી આવી ફરિયાદ કરી છે. ફરિયાદીએ અરજદારને પૈસા આપ્યા હોવાના કોઈ પુરાવા નથી. સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે આ ફરિયાદ નોંધાતા જુદા જુદા ભોગ બનેલા લોકો સામે આવ્યા છે. જેમાં આરોપી પતિ પત્નીએ ખોટી ઓળખાણ ઊભી કરીને 80 લાખ રૂપિયા લોકો પાસેથી લઈ લીધા છે. તેની પાસેથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું કાર્ડ, ખોટા સિક્કા, સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના વકીલ તરીકેની ઈમેજ ઉભા કરતા દસ્તાવેજ વગેરે મળી આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું હતું કે આરોપીએ LLB પૂર્ણ ન કર્યું હોવા છતાં આ પ્રમાણેની કામગીરી કરી છે. વકીલાતના ઉમદા વ્યવસાયને આ રીતે બદનામ થવા દેવાય નહીં. ત્યારે ગુજરાત હાઇકોર્ટે પણ આરોપીની આગોતરા જામીન અરજી નકારી કાઢી છે.
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10 માં આવેલા ગોમતીપુર વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રહીશોએ મતદાન બહિષ્કારનું એલાન કર્યું છે. સફાઈના અભાવે રોષે ભરાયેલા લોકોએ સોસાયટીના પ્રવેશદ્વાર પર 'મતદાન બહિષ્કાર' ના બેનરો લગાવ્યા છે. રહીશોનો આક્ષેપ છે કે તેઓ નિયમિતપણે સફાઈ વેરો ભરે છે, તેમ છતાં સફાઈની રજૂઆત કરવામાં આવે ત્યારે તંત્ર દ્વારા તેને 'પ્રાઇવેટ જગ્યા' ગણાવી સફાઈ કરવાની ના પાડવામાં આવે છે. આના કારણે વિસ્તારમાં ગંદકી અને ગટરની સમસ્યા વકરી છે. લતાબેન ભટ્ટી, એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે, 'અહીં સફાઈ કામ માટે કોઈ આવતું નથી. અમે સફાઈ માટે કહીએ તો અમને એમ કહેવામાં આવે છે કે આ પ્રાઈવેટ જગ્યા છે. અમે બે-ત્રણ વાર ફોન કર્યા હોવા છતાં કોઈ ધ્યાન આપતું નથી. અહીં ગટરની સફાઈ, શેરીની સફાઈ કે કોઈ પણ જાતની સફાઈ થતી નથી.' બેનરો પર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, 'આ પ્રાઇવેટ જગ્યા હોવાથી કોઈપણ રાજકીય ઉમેદવારે પ્રચાર કે મતની વિનંતી માટે પ્રવેશ કરવો નહીં.' ચૂંટણીના માહોલ વચ્ચે જામનગરના આ વિસ્તારમાં જોવા મળેલા લોકરોષને કારણે રાજકીય વર્તુળોમાં ચિંતા વ્યાપી છે. હવે જોવું રહ્યું કે તંત્ર કે ઉમેદવારો રહીશોની આ સમસ્યાનું નિરાકરણ લાવે છે કે પછી રહીશો પોતાના નિર્ણય પર અડગ રહે છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે સુરતમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા આમ આદમી પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય પર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ‘આપ’ના કાર્યકરો અને નેતાઓ લાલઘૂમ થયા હતા. આપના નેતા પંકજ આંબલિયાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સત્તા પક્ષ હારના ડરથી સરકારી તંત્રનો દુરુપયોગ કરી રહ્યો છે. આમ આદમી પાર્ટીના હોબાળા ના પગલે કોર્પોરેશનના અધિકારીઓ કોઈપણ પ્રકારની કામગીરી કર્યા વિના પરત ફર્યા હતા. ભાજપના ઈશારે અધિકારીઓ કામ કરી રહ્યાનો આક્ષેપઆમ આદમી પાર્ટી સુરત દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે, જેમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પોસ્ટમાં લખ્યું છે કે, ભાજપિયા ગુંડાઓને હારનો ડર નાભિ સુધી પહોંચી ગયો છે. જનતાના આક્રોશથી બોખલાયેલી ભાજપ કાવા-દાવા કરી આમ આદમી પાર્ટીના કાર્યાલય પર અધિકારીઓને મોકલી કાર્યકર્તાઓને દબાવવાનું કામ કરી રહી છે. ‘સત્તા બદલાતા વાર નહીં લાગે, તમારા માટે લોઢાના મેડલો તૈયાર છે’આપના નેતાઓએ અધિકારીઓને પણ ખુલ્લી ચીમકી આપી હતી. પંકજ આંબલિયાએ વીડિયોમાં જણાવ્યું હતું કે, આ ભાજપના દલાલો અને ભાજપની જી-હજૂરી કરતા અધિકારીઓ કાન ખોલીને સાંભળી લે, સત્તા બદલાતા સમય નથી લાગવાનો. તમારા માટે અમે ભારે ભરખમ લોઢાના મેડલો તૈયાર રાખ્યા છે. સત્તા પરિવર્તન થતા જ ગળામાં ભાજપનો પટ્ટો પહેરેલા દલાલોને આ મેડલો આપવામાં આવશે. ગેરકાયદે બાંધકામ મુદ્દે ભાજપને ઘેર્યોકાર્યાલયની બહાર થયેલા હોબાળા દરમિયાન ‘આપ’ના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના અનેક કાર્યાલયો ગેરકાયદેસર બિલ્ડિંગોમાં ચાલી રહ્યા છે, પરંતુ તંત્ર ત્યાં કોઈ કાર્યવાહી કરતું નથી. પંકજ આંબલિયાએ વીડિયોમાં આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, સામે ચાર માળનું ગેરકાયદે બાંધકામ થયું છે તે SMCને દેખાતું નથી? ભાજપના કાર્યાલયો મોટા મોટા કોમ્પ્લેક્સમાં છે ત્યાં તપાસ કેમ નથી થતી? માત્ર સામાન્ય જનતા માટે કામ કરતી આમ આદમી પાર્ટીના નાના મંડપ અને ઝંડાઓથી તંત્રને તકલીફ થઈ રહી છે. 30 વર્ષના શાસનથી જનતા થાકી છે: પંકજ આંબલિયાવધુમાં પંકજ આંબલિયાએ જણાવ્યું કે, આ વખતે સુરતની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે. ગુજરાતમાં 30 વર્ષથી સત્તા ભોગવતી ભાજપ સામે હવે લોકોમાં રોષ છે. 'આ વખતે ઝાડુ' અને 'આ વખતે પરિવર્તન'ના નારાથી ભાજપ ડરી ગઈ છે અને એટલે જ સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી રહી છે.
ગાંધીનગરના દહેગામ તાલુકામાં ઉત્તમ ડેરી અને મધુર ડેરી વચ્ચેનો સંઘર્ષ હવે માત્ર વહીવટી વિવાદ નહીં પરંતુ રાજકીય જંગમાં પરિવર્તિત થયો છે. છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા આ વિવાદને કારણે દહેગામના પશુપાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જેનો પડઘો હવે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં સ્પષ્ટપણે સંભળાઈ રહ્યો છે. આજે 15 એપ્રિલે બારિયા ગામે ભાજપનો પ્રચાર કરવા પહોંચેલા ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના કાફલાને ગ્રામજનોએ અટકાવી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. બંન્ને ડેરીના વિખવાદથી પશુપાલકોને નુકસાનઅમદાવાદ જિલ્લા ડેરી સંઘ ઉત્તમ ડેરી અને ગાંધીનગર જિલ્લા સંઘ મધુર ડેરી વચ્ચેના કાનૂની અને વહીવટી ગજગ્રાહમાં સામાન્ય પશુપાલકો પિસાઈ રહ્યા છે. પશુપાલકોની ફરિયાદ છે કે તેઓને દૂધના નિકાલ અને વ્યવસ્થામાં વહીવટી તંત્રના અંદરોઅંદરના વિખવાદને કારણે ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ આક્રોશના ભાગરૂપે પશુપાલકોએ મધુર ડેરીમાં દૂધ નહીં તો વોટ નહીં ના નારા સાથે એક વ્યાપક લડત શરૂ કરી છે. પશુપાલકોએ હાથમાં બેનરો સાથે આજે 15 એપ્રિલે ધારાસભ્ય બલરાજસિંહ પોતાના સમર્થકો અને ભાજપના કાર્યકરો સાથે બારિયા ગામે મત માંગવા પહોંચ્યા હતા. ત્યારે પશુપાલકોએ હાથમાં બેનરો સાથે તેમની ગાડી રોકી હતી. પશુપાલકો ઈચ્છતા હતા કે લોકપ્રતિનિધિ તેમની વાત સાંભળે અને આ ડેરી વિવાદનો કાયમી ઉકેલ લાવે. જોકે ઉપસ્થિત લોકોના જણાવ્યા અનુસાર, ધારાસભ્ય પશુપાલકોની વેદના સાંભળવાને બદલે ત્યાંથી ગાડી હંકારી ગયા હતા. મતોનું નુકસાન વેઠવું પડશે તેવી ચીમકીજેથી ધારાસભ્યના ગયા પછી લોકોનો રોષ બેવડાયો હતો. ગ્રામજનોએ કાફલામાં રહેલા ભાજપના અન્ય આગેવાનો અને કાર્યકરોને ઘેરી લીધા હતા. લાંબા સમય સુધી ચાલેલા આ ઘેરાવમાં પશુપાલકોએ પોતાનો આક્રોશ ઠાલવતા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, જો મધુર ડેરીમાં પશુપાલકોના દૂધના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો સત્તાધારી પક્ષને આ વખતે મતોનું ભારે નુકસાન વેઠવું પડશે. ત્યારે સ્થાનિક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ડેરીના આ સહકારી વિવાદે હવે પશુપાલકોમાં જે રોષ જન્માવ્યો છે, તે આગામી ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ સાબિતથઈ શકે છે. જો વહેલી તકે ઉત્તમ અને મધુર ડેરી વચ્ચેનો વહીવટી પેચ નહીં ઉકેલાય તો દૂધની આ લડાઈ મધુર બનવાને બદલે શાસક પક્ષ માટે કડવી સાબિત થશે.
પાટણ શહેરમાં સગીર વયની બાળકીના તેની મરજી વિરુદ્ધ કરાવાઈ રહેલા લગ્નને 112 જન રક્ષક અને 1098 ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી અટકાવ્યા છે. બાળકીને સુરક્ષિત રીતે બચાવી ધારપુર સિવિલ હોસ્પિટલ સ્થિત સખી વન સ્ટોપ મહિલા સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો છે. આ ઘટનાની શરૂઆત પાટણ સિટી બી ડિવિઝન 112 જન રક્ષક વાનને મળેલા ઈમરજન્સી કોલથી થઈ હતી. આ ઉપરાંત, ચાઈલ્ડ હેલ્પલાઈન અને બાળ સુરક્ષા શાખામાં ડી.પી.સી. તરીકે ફરજ બજાવતા નીલિશાબેન ચૌહાણને 1098 હેલ્પલાઈન મારફતે બાતમી મળી હતી. બાતમી અનુસાર, પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક સગીર બાળકીને તેના માતા-પિતા હેરાન કરી રહ્યા હતા અને તેની મરજી વિરુદ્ધ બાળલગ્ન કરાવી રહ્યા હતા. માહિતી મળતા જ 1098 ના પી.સી. નીલિશાબેન તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે બાળકીના માતા-પિતાને કાયદાકીય સમજ આપી લગ્ન ન કરવા જણાવ્યું હતું. જોકે, માતા-પિતા દ્વારા પૂરતો સહકાર ન મળતા અને ઘર્ષણની સ્થિતિ જણાતા 112 જન રક્ષક હેલ્પલાઈનની મદદ લેવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની 112 જન રક્ષક ગાડીના કર્મચારીઓ તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા. 1098 ના સભ્યો અને 112 ના જવાનોએ સાથે મળીને બાળકીને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી હતી. ત્યારબાદ બાળકીને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ મહિલા સેન્ટરને સોંપવામાં આવી હતી. આ કામગીરીમાં 112 જનરક્ષક વાન ઇન્ચાર્જ એ.પી.સી. પ્રભુરામ કેશાભાઈ અને પાયલોટ દેસાઈ રાહુલકુમાર જયરામભાઈ જોડાયા હતા. હાલ આ મામલે સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
રાજકોટ - અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આવેલા હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી 29 માર્ચથી 24 ઓક્ટોબર, 2026 સુધીના સમર શેડ્યૂલ મુજબ હાલ દૈનિક 13 સહિત 14 ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. જોકે હાલ અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન સાથેના યુદ્ધના કારણે હવાઈ સેવાને ગંભીર અસર પહોંચી હોય તેમ હવાઈ મુસાફરોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ચાલુ વર્ષે જાન્યુઆરી માસમાં 1.39 લાખ, ફેબ્રુઆરીમાં 1.26 લાખ તો માર્ચમાં મુસાફરો ઘટીને 1.16 લાખ થઈ ગયા. જોકે હવે ઉનાળુ વેકેશન છે ત્યારે મુસાફરોની સંખ્યામાં વધારો થશે તેવી ટુર્સ ઓપરેટરોને આશા છે. ગત વર્ષે રાજકોટ એરપોર્ટ પરથી 12.53 લાખ મુસાફરોએ ફલાઇટમાં અવરજવર કરી હતી. જેમાં 6.13 લાખ મુસાફરો રાજકોટ એરપોર્ટ પર ફલાઇટમાં આગમન કરી ચૂક્યા છે. જ્યારે 6.39 લાખ મુસાફરો રાજકોટ એરપોર્ટ પરથી ફ્લાઈટમાં પ્રસ્થાન કરી ચૂક્યા છે. જેમાં મુંબઈની 7, દિલ્હીની 4, હૈદરાબાદ, બેંગ્લોર, પુણેની 1- 1 ફ્લાઇટ ઉડાન ભરશે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુંબઈ જવા માટે 5 તો નવી મુંબઈ માટેની નવી 2 ફ્લાઇટ છે. આ ઉપરાંત દિલ્હીની 4, હૈદરાબાદ અને બેંગ્લોરની 1- 1 ફ્લાઇટ ડેઈલી ઉડાન ભરી હતી. જ્યારે પુણેની ફ્લાઈટ અઠવાડિયામાં ચાર વખત ઉડાન ભરી રહી છે. જ્યારે ઈન્ડિગો એર લાઇન્સની ગોવાની ફ્લાઇટ બંધ થઈ છે. જે બાબતે એરલાઇન્સના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજકોટથી ગોવા જવા માટેની ફ્લાઈટ એપ્રિલ અંતથી શરૂ થશે. હાલ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન સાથે યુદ્ધ ચાલી રહ્યું છે જેને કારણે દુબઇ અને ટર્કી જેવા સ્થળોએ જવાનું હવાઈ મુસાફરો ટાળી રહ્યા છે. જેથી ફલાઇટમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો છે. જોકે હવે ઉનાળુ વેકેશન છે ત્યારે લોકો પરિવાર સાથે હરવા ફરવા માટે નીકળી પડતા હોઈ છે તેવામાં હવાઈ મુસાફરોની સંખ્યામાં વધારો થશે તેવી પૂરેપૂરી શક્યતા છે. મહિનો - આગમન - પ્રસ્થાન - કુલ એપ્રિલ/2025 - 45482 - 50064- 95,546મે/2025 - 36388 -34743 -71,131જૂન/2025 - 43847 -47128 -90,975જુલાઈ/2025 - 41931-45222-87,153ઓગસ્ટ/2025 - 44373 -46625 -90,998સપ્ટેમ્બર/2025 - 43638 - 48922 - 92,560ઓક્ટોબર/2025 - 53325-53931-1,07,256નવેમ્બર/2025 - 58657 -64432 -1,23,089ડિસેમ્બર/2025 - 54417 - 57572- 1,11,989જાન્યુઆરી/2026 - 69876 - 69817 - 1,39,693ફેબ્રુઆરી/2026 - 63794 - 62,734 - 1,26,528માર્ચ/2026 - 58093 - 58693 - 1,16,786ટોટલ - 6,13,821 - 6,39,883 - 12,53,704 રાજકોટ એરપોર્ટથી 29 માર્ચથી 24 ઓક્ટોબર સુધી 14 ફ્લાઈટની ઉડાન ફ્લાઇટ નંબર - રૂટ - રાજકોટથી પ્રસ્થાન6E 6174/5004 - દિલ્હી - 7.55 - દૈનિકAIC 2785/2786 - મુંબઈ - 8.35 - દૈનિક6E 7045/7046 - નવી મુંબઈ - 8.25 - દૈનિક 6E 5156/233 - મુંબઈ - 9.15 - દૈનિક AI 885/886 - દિલ્હી - 10.00 - દૈનિક 6E 956/957 - પુણે - 10.20 - મંગળ, બુધ, ગુરુ, શનિવાર6E 2284/2283 - મુંબઈ - 13.45 - દૈનિક6E 6507/6508 - બેંગ્લોર - 15.55 - દૈનિક 6E 273/5271 - મુંબઈ - 16.20 - દૈનિક 6E 6983/6984 - દિલ્હી - 17.50 - દૈનિક AI 2730/2731 - મુંબઈ - 18.00 - દૈનિક 6E 2100/2104 - નવી મુંબઈ - 19.35 - દૈનિક 6E 2537/2538 - દિલ્હી - 20.00 - દૈનિક 6E 6823/6824 - હૈદરાબાદ - 20.10 - દૈનિક
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસમાં મોટાભાગે હવામાન સૂકું રહેવાની સંભાવના છે. જ્યારે ચોથો અને પાંચમો દિવસ એટલે કે 19 અને 20 એપ્રિલના રોજ અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 19 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વરસાદ પડી શકે છે. જ્યારે 20 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, તાપી અને ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 3 દિવસ બાદ તાપમાન વધશેગરમ અને ભેજવાળું વાતાવરણ વિશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ, આગામી 3 દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજવાળું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન આગામી 3 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. સૌથી વધુ રાજકોટમાં તાપમાન નોંધાયુંછેલ્લા 24 કલાકનું તાપમાન વિશે અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગાંધીનગરમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે સૌથી વધુ રાજકોટમાં 40.7 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. પવનની દિશા અત્યારે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફની છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને એક 'ટ્રફ' સિસ્ટમ દક્ષિણ-પૂર્વ રાજસ્થાનથી મણિપુર સુધી ફેલાયેલી છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી રહી છે.
રાજકોટ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ આજે ભાજપ દ્વારા આગામી 5 વર્ષના રોડ મેપ સાથેનો સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ મુખ્ય 9 મુદ્દાઓને આવરી લઇ સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવ્યો છે. રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ સંકલ્પ પત્ર જાહેર કરી જણાવ્યું કે, બીજા પક્ષો માટે ચૂંટણી ઢંઢેરો હોય છે ભાજપ માટે સંકલ્પ પત્ર હોય છે અને આ સંકલ્પ પત્ર ભાજપ માટે ભગવત ગીતા સમાન છે. રાજકોટ આજે સ્માર્ટ સીટી બની ગયું છે અને હવે મેટ્રો સીટી બનાવવા તરફ ભાજપ સરકાર સંકલ્પ સાથે આગળ વધી રહી છે આવતા દિવસોમાં રાજકોટમાં મેટ્રો રેલની વ્યવસ્થા પણ શરૂ કરવા સંકલ્પ કરવામાં આવ્યો છે અને આ દિશામાં આગળ કામ પણ થઇ રહ્યું છે. રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીને લઇ આજે ભાજપનો સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યો છે. ચૂંટણી ઢંઢેરો નહિ પરંતુ ભાજપ સંકલ્પ પત્ર લોકો સમક્ષ મૂકે છે. ભાજપ માટે આખા દેશમાં સંકલ્પ પત્રએ ભગવત ગીતા સમાન છે. 2047માં દેશ વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો સી તેમનો એક ભાગ ગુજરાત અને રાજકોટ છે. ગુજરાત નવી એક ઊંચાઈ પર જઈ રહ્યું છે. રાજકોટ મહાનગરને કોઈ હરાવી શકે એવી સ્થિતિ નથી કારણ કે રાજકોટ જનસંઘ વખતથી ભાજપનો ગઢ બની ગયું છે. અમારા ઉમેદવારો નગરસેવક બનવાના છે. જનતાની અપેક્ષાઓ આધારે સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવ્યો છે. ઢંઢેરો ચૂંટણી લક્ષી હોય પણ સંકલ્પ પત્ર અમારા માટે ગીતાજીનો ગ્રંથ છે. લોકસેવા માટે સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવ્યો છે. લોકોએ ભાજપ પર વિશ્વાસ મૂકીને મત આપ્યા છે. રાજકોટનો રૂણ અમે ક્યારેય ચૂકવી શકીએ એમ નથી. ફરી એક વાર જનાદેશ માંગવા અને આશીર્વાદ માંગવા લોકો વચ્ચે ભાજપ જઈ રહ્યું છે. સ્માર્ટ સિટીની અનુભૂતિ અહીંયા રાજકોટમાં થઇ રહી છે. ભાજપના તમામ આગેવાનો કાર્યકર્તાને અભિનંદન આપું છું. રૂપિયાના કારણે રાજકોટના વિકાસનું કોઈ કામ અટકશે નહિ પ્રજાના પૈસા પ્રજાના કામ માટે જ વપરાશે. રાજકોટને મેટ્રો સીટી બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તમામ વોર્ડને વિકસિત બનાવવામાં આવશે. અને ખાસ મેટ્રો ટ્રેન શરૂ કરાવવા માટે સંકલ્પ રાજકોટ માટે લેવામાં આવ્યો છે. જીતુ વાઘાણીએ કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માત્ર ચૂંટણી આવી એટ ખોટા વાયદાઓ આપી રહી છે. કોંગ્રેસ હાર ભાડી ગઇ છે એટલે ખોટા આક્ષેપો કરી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાના કાર્યકર્તા અને ઉમેદવારો ઉપર તેમને ભરોસો જ નથી માટે તે ભાજપ ઉપર ખોટા આક્ષેપો કરી રહી છે. કોંગ્રેસ ભૂતકાળ ભૂલી ગઈ છે રાજ્યસભાની ચૂંટણી સમયે પણ મોટા નેતાઓ જયપુર ને બેંગ્લોર લઇ જવાની ફરજ પડી હતી. હાર ભાડી ગઈ છે એટલે દરેક વખતે ભાજપ ઉપર આક્ષેપ કરે છે. ખાસ કહેવાનું એટલું જ છે કે જનતાનો જનાદેશ ભાજપ સાથે છે. જન સમર્થન ભાજપને છે જન સમર્થન વિકાસને છે. રાજકોટ શહેરની જનતા માટે ભાજપ દ્વારા મુખ્ય 9 બાબતોને ધ્યાનમાં રાખી સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવ્યો છે. (1) આંતરમાળખાકીય સુવિધા અને સ્માર્ટ સીટી પ્રોજેક્ટ (2) પરિવહન અને ટ્રાફિક વ્યવસ્થા (3) આરોગ્ય અને સુખાકારી (4) શિક્ષણ યુવા અને રમત ગમત (5) રોજગાર વેપાર અને ઔદ્યોગિક વિકાસ (6) મહિલા શશક્તિકરણ અને ઉત્કર્ષ (7) પર્યટન, મનોરંજન અને સાંસ્કૃતિક વિકાસ (8) ટેક્નોલોજી, વહીવટ અને સુરક્ષા (9) કરવેરામાં રાહત અને પ્રોત્સાહક યોજનાઓ
હિંમતનગર માર્કેટયાર્ડમાં આગામી બે દિવસ ખુલ્લી તમાકુ ભરેલા વાહનોની હરાજી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કમોસમી વરસાદની આગાહીને પગલે આ સૂચના જારી કરવામાં આવી છે. જોકે, તમાકુ ભરેલા કોથળાઓની હરાજી રાબેતા મુજબ ચાલુ રહેશે. હિંમતનગર માર્કેટયાર્ડ દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી છે. માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને જણાવાયું છે કે, 18 એપ્રિલ, 2026 થી વરસાદ પડવાની સંભાવના છે. આથી, ખેડૂતોએ હિંમતનગર માર્કેટયાર્ડ અને કોટન માર્કેટયાર્ડમાં વેચાણ માટે લાવવામાં આવતી ખેત પેદાશોને યોગ્ય રીતે ઢાંકીને લાવવાનો આગ્રહ રાખવો. હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) દ્વારા જાહેર સૂચના મુજબ, વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખીને, ખુલ્લી તમાકુ ભરેલા વાહનોની હરાજી શુક્રવાર, 17 એપ્રિલ, 2026 અને શનિવાર, 18 એપ્રિલ, 2026 એમ બંને દિવસોએ બંધ રહેશે. જ્યારે, તમાકુ ભરેલા કોથળાઓની હરાજી નિયમિતપણે ચાલુ રહેશે. સહકારી જીન વિસ્તારમાં આવેલા કોટનયાર્ડમાં તમાકુ વેચવા આવતા ખેડૂતોને ખાસ સૂચના આપવામાં આવી છે કે, તમાકુ ફરજિયાતપણે બોરી ભરીને લાવવાની રહેશે. તમાકુની હરાજી સહકારી જીનમાં જ કરવામાં આવશે, જેથી ખેડૂતોએ પોતાના સાધનો સહકારી જીનમાં જ ઊભા રાખવા.
વિક્રમ માલીવાડને પાસા હેઠળ જેલભેગો કરાયો:મહિસાગર LCBએ આરોપીને ભુજ મધ્યસ્થ જેલમાં મોકલ્યો
મહિસાગર પોલીસે અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. એલસીબી ટીમે કડાણા તાલુકાના મોટા ભાગલીયાના રહેવાસી વિક્રમ સોમાભાઈ માલીવાડને પાસા હેઠળ અટકાયત કરી ભુજ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે. પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને મહિસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અસામાજિક તત્ત્વો સામે પાસા-તડીપારના કાયદા હેઠળ કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના અનુસંધાને, એલસીબી પીઆઈ એમ.કે. ખાંટ દ્વારા વિક્રમ સોમાભાઈ માલીવાડ (રહે. મોટા ભાગલીયા, ઘોડીમાર્ગ ફળિયું, તા. કડાણા, જિ. મહિસાગર) વિરુદ્ધ પુરાવા એકઠા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પાસા દરખાસ્ત તૈયાર કરીને પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ મહિસાગરને મોકલી આપવામાં આવી હતી. આવા ઇસમની સમાજ વિરોધી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા જરૂરી જણાતા, મહિસાગર જિલ્લા મેજિસ્ટ્રેટે વિક્રમ માલીવાડ વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કર્યું હતું. પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, એલસીબીની ટીમે વિક્રમ સોમાભાઈ માલીવાડની પાસા હેઠળ અટકાયત કરી તેને મધ્યસ્થ જેલ ભુજ ખાતે મોકલી આપ્યો છે.
વેરાવળમાં આવતીકાલે વીજ પુરવઠો ખોરવાશે:ગોકુલનગર ફીડરમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ કામગીરીને કારણે
વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા 17 એપ્રિલ, 2026, શુક્રવારે સવારે 8:30 થી બપોરના 2:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. 11 કેવી ગોકુલનગર ફીડરમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ કામગીરીને કારણે આ નિર્ણય લેવાયો છે. આ વીજ કાપને કારણે હુડકો સોસાયટી, મોચી નગર, સાંઈ બાબા મંદિર પાછળનો વિસ્તાર, ડારી રોડ, માનવ રેસિડેન્સી, ગોકુલનગર, રામદેવ નગર અને જૂની ITI સહિતના વિસ્તારો પ્રભાવિત થશે. સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે. વીજ ગ્રાહકોને આની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ઇમરજન્સી ફોલ્ટ સેન્ટરના નંબર 96876 33787 અને 02876 22210 છે. વીજ અકસ્માતો ટાળવા માટે, વીજ સ્થાપનો પર યોગ્ય ક્ષમતાની ELCB (અર્થ લીકેજ સર્કિટ બ્રેકર) લગાવવાની સલાહ આપવામાં આવે છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પુરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે અને આક્ષેપ-પ્રતિઆક્ષેપો શરૂ થઈ ગયા છે. સુરતની વરાછા રોડ બેઠકના ભાજપના ધારાસભ્ય કુમારકાનાણી દ્વારા લખવામાં આવતા પત્રની કોઈ અસર ન થતી હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કરતા કાનાણીએ વળતો પ્રહાર કર્યો હતો. પોતાના એકપત્રથી વાસદ પાસે પોલીસની હપ્તાખોરી બંધ થઈ હોવાનો દાવો કર્યો. સાથે કહ્યું- આપવાળાઓ તો તમને આગ્રાથી તાજમહેલ લાવી વરાછામાં મૂકી દેવાના દાવા કરશે, એમના બાપનું શું જાય? પત્ર મુદ્દે આમ આદમી પાર્ટીએ કરેલા આક્ષેપો પર કાનાણીનો પ્રહારતાજેતરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરી કુમાર કાનાણીના પત્રોની ટીકા કરવામાં આવી હતી. 'આપ'ના નેતાઓનો આરોપ હતો કે, કુમારકાકા પત્રો તો લખે છે પણ કોઈ અધિકારી તેમને ગણકારતા નથી. આ ટીકાનો જવાબ આપતા કાનાણીએ ચૂંટણી સભામાં વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, મારા પત્રોની શું અસર થાય છે એ જનતા જાણે છે. પત્ર લખવો એ જનતાનો અવાજ ઉઠાવવાનું સાધન છે અને તેનાથી પ્રશાસનમાં દોડધામ મચી જાય છે. પોતાના પત્રથી શું અસર થાય છે તેના કાનાણીએ ઉદાહરણ આપ્યાપોતાના પત્રની અસરનું ઉદાહરણ આપતા ધારાસભ્યએ જણાવ્યું કે, અગાઉ આવકના દાખલા કઢાવવા માટે લોકોએ રાતના બે વાગ્યાથી લાઈનમાં ઉભા રહેવું પડતું હતું. લોકો તડકામાં હેરાન થતા હતા. મેં માત્ર એક પત્ર લખીને અધિકારીને જાણ કરી અને બીજા જ દિવસે સવારે 9 વાગ્યે ત્યાં મંડપ નંખાઈ ગયા, ઠંડા પાણીની વ્યવસ્થા થઈ ગઈ અને ધીમે ધીમે આખી પ્રક્રિયા ઓનલાઈન થઈ ગઈ. આજે લોકોને ક્યાંય ધક્કા ખાવા પડતા નથી, આ મારા પત્રની અને રજૂઆતની જ તાકાત છે જેના કારણે અધિકારીઓએ કામ કરવું પડ્યું છે. 'મારા પત્રના કારણે વાસદ પાસે પોલીસની હપ્તાખોરી બંધ થઈ'કાનાણીએ પોલીસ તંત્ર પર પણ આકરા પ્રહારો કરતા કહ્યું કે, અગાઉ વાસદ ટોલનાકા પાસે પોલીસના ઝુંડ ઉભા રહેતા હતા. સામાન્ય નાગરિકો પાસેથી હજારો રૂપિયા પડાવવામાં આવતા હતા. દિવાળીના સમયે લોકોની આ પીડા જાણીને મેં પત્ર લખ્યો કે આ લૂંટ અને હપ્તાખોરી બંધ થવી જોઈએ. આજે સ્થિતિ એ છે કે ત્યાં એક પણ પોલીસવાળો ખોટી રીતે હેરાન કરતો દેખાતો નથી. પોલીસના પરસેવા છૂટી ગયા છે કારણ કે તેઓ જાણે છે કે પ્રજાના પ્રતિનિધિ તરીકે હું જાગૃત છું. આપ વરાછામાં તાજમહેલ લાવવાના વાયદા કરશે: કાનાણીનો કટાક્ષઆમ આદમી પાર્ટીના વાયદાઓને જૂઠાણું ગણાવતા કુમાર કાનાણીએ ભારે રમુજ સાથે પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપને ખબર છે કે અમારે સત્તામાં આવવાનું છે અને પ્રજાને જવાબ આપવાનો છે, એટલે અમે વિચારીને વચનો આપીએ છીએ. પરંતુ 'આપ'ને ખબર છે કે તેઓ ક્યારેય જીતવાના નથી, એટલે ગમે તેવા બણગા ફૂંકે છે. કાલે ઉઠીને આ લોકો એમ પણ કહેશે કે અમે આગ્રાનો તાજમહેલ નાના વરાછામાં લાવીને મૂકી દઈશું! ખોટું બોલવાની પણ એક હદ હોય છે, જે આ લોકો વટાવી રહ્યા છે. સરકાર સામે પણ બાથ ભીડવાની તૈયારીપોતાની કાર્યશૈલી સ્પષ્ટ કરતા કાનાણીએ જણાવ્યું કે, ભલે હું સરકારનો ધારાસભ્ય છું, પરંતુ જ્યારે લોકોની વેદના કે પ્રશ્નોની વાત આવે છે ત્યારે હું મારી જ સરકાર સામે પણ બાથ ભીડતા અચકાતો નથી. અધિકારીઓ સામે પણ મેં અનેકવાર મોરચો માંડ્યો છે. ભાજપના કાર્યકર્તા તરીકે ગર્વ છે પણ લોકોના કામ માટે હું હંમેશા લડાયક મૂડમાં રહ્યો છું અને રહીશ. પાટીદાર ગઢમાં ભાજપ vs AAPસુરત મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં ખાસ કરીને વરાછા, કતારગામ અને કાપોદ્રા જેવા વિસ્તારોમાં રસાકસી જામી છે. પાટીદાર મતદારોને આકર્ષવા માટે બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કુમાર કાનાણીની આક્રમક શૈલી અને તેમના પત્રો હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે, ત્યારે 'આપ' દ્વારા તેમના પર કરવામાં આવતા વ્યક્તિગત પ્રહારોનો જવાબ તેઓ હવે જનસભાના માધ્યમથી આપી રહ્યા છે. સુરત મહાનગરપાલિકામાં વોર્ડવાઈઝ ભાજપ સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય રહી છે. ભાજપ દ્વારા આજે 16 એપ્રિલે અમદાવાદ મહાનગરપાલિકા માટે ચૂંટણી સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું. ભાજપના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, શહેર પ્રમુખ પ્રેરક શાહ અને AMC પૂર્વ પદાધિકારીઓએ આગામી પાંચ વર્ષમાં ભાજપ શું કરશે તેનું વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ 2026-27માં ભાજપના પદાધિકારીઓ દ્વારા બજેટમાં જે જાહેરાત કરવામાં આવી હતી. જે જાહેરાત ફરીથી ભાજપના ચૂંટણી સંકલ્પ પત્રમાં કરવામાં આવી હતી. ભાજપના નેતાઓને કોઈ ખાસ મોટી જાહેરાત ભાજપ દ્વારા સંકલ્પ પત્રમાં કરવામાં આવી નથી. રિવરફ્રન્ટ ગિફ્ટ સુધી આગળ વધારાશેભાજપના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે અમે આવતાં પાંચ વર્ષમાં અમદાવાદ માટે શું કરીશું એના માટે વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કર્યું છે. રિવરફ્રન્ટને ડફનાળાથી ઈન્દિરા બ્રિજ અને ગિફ્ટ સીટી સુધી આગળ વધારવાનું આયોજન છે. 2026-27માં 15 અને 2027-28માં 13 ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન છે. શહેરમાં AI આધારિત ટ્રાફિક સિગ્નલ વિકસાવવાની યોજના મુકાઈ છે. 100 LEFT ટર્ન ખુલ્લા મૂકવામાં આવશે. 'સુભાષબ્રિજ 8 માર્ગીય બનાવાશે'અમદાવાદ શહેરને સ્લમ મુક્ત કરવામાં આવશે. 50000 મકાનોનો લક્ષ્યાંક મૂકવામાં આવશે. 2030 સુધીમાં 3000 ઇલેક્ટ્રિક બસ દોડાવવામાં આવશે. ફાટકમુક્ત અમદાવાદ બનાવવામાં આવશે. 17 નવા બ્રિજ બનાવવાનું આયોજન. સુભાષબ્રિજને 8 માર્ગીય બનાવવામાં આવશે. દરેક વોર્ડમાં એક મેદાન અને બ્રિજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી ઝોન બનાવશે. '5 વર્ષમાં પીરાણા ડમ્પરિંગ સાઈટ દૂર થશે'વધતા જતા પ્રદૂષણને અટકાવવા માટે થઈને શહેરમાં ગ્રીન કવર વધારવામાં આવશે. શહેરમાંથી પસાર થતી રેલવે લાઇનની બંને તરફ ગ્રીન કવર વધારવામાં આવશે. અમદાવાદનું ગ્રીન કવર 12.50 ટકાથી વધારીને 18 ટકા કરવાનું લક્ષ્યાંક છે. આગામી પાંચ વર્ષમાં અમદાવાદમાં સૌથી મોટા ડમ્પિંગ સાઈટ એવા પીરાણા ડમ્પિંગ સાઈટને દૂર કરવામાં આવશે એવો દાવો પણ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલા સ્વાગત રેઈન ફોરેસ્ટ-2 કોમ્પ્લેક્ષમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા અનૈતિક દેહવ્યાપારના નેટવર્કને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. પૂર્વ બાતમીના આધારે પોલીસે કિંગ ધ લક્ઝરી હમામ સ્પામાં દરોડા પાડીને દેહવ્યાપાર કરાવતી અમદાવાદની મહિલા સંચાલિકા જલ્પા ભાવેશભાઈ મકવાણાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ચાર યુવતીઓને મુક્ત કરાવવામાં આવીગાંધીનગરના કુડાસણમાં સ્વાગત રેઈન ફોરેસ્ટ-2 કોમ્પ્લેક્ષના બીજા માળે કિંગ ધ લક્ઝરી હમામ સ્પાની આડમાં દેહ વ્યાપારનો ગોરખધંધો ધમધમી રહ્યો હોવાની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને બાતમી મળી હતી. જેના પગલે AHTUની ટીમ દ્વારા એક ડમી ગ્રાહકને રજિસ્ટર્ડ સીરીયલ નંબર વાળી રૂ.500 ની 14 નોટો આપીને સ્પામાં મોકલ્યો હતો. બાદમાં ડમી ગ્રાહકે સ્પામાં જઈ મસાજ અને દેહ વિક્રિયની માંગણી કરતા સંચાલિકાએ સંમતિ આપી હતી. ત્યારે ગ્રાહક તરફથી લીલીઝંડી મળતા જ પોલીસ કાફલાએ તુરંત સ્પામાં પ્રવેશ કર્યો હતો.આ રેઈડ દરમિયાન રૂમ નંબર 1માંથી એક પીડિત યુવતી મળી આવી હતી.જેની પાસે ગ્રાહકે આપેલ રજિસ્ટર્ડ સીરીયલ નંબર વાળી ચલણી નોટો મળી આવી હતી. યુવતીઓને માસિક પગારથી નોકરી પર રાખી હતીજે અંગે સ્પામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા સ્ટાફ રૂમમાંથી અન્ય ત્રણ યુવતીઓ પણ મળી આવી હતી. જેઓ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, અમદાવાદ અને મિઝોરમ જેવા વિવિધ વિસ્તારોની વતની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પીડિત યુવતીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે સંચાલિકા જલ્પા તેમને દેહવ્યાપાર માટે માસિક પગાર આપતી હતી. આ મામલે પોલીસે સ્થળ પરથી દેહવ્યાપારના વકરાના કુલ રૂ. 5 હજાર જપ્ત કરી સંચાલિકા જલ્પાબેન મકવાણા વિરુદ્ધ ધ ઇમોરલ ટ્રાફિક પ્રીવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મરેંગો એશિયા હોસ્પિટલ્સ ગ્રુપ દ્વારા હોસ્પિટલે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેને દત્તક લેવામાં આવ્યો છે. જેના માટે પેટ્રોલ પંપ અને દુકાનોના કર્મચારીઓને CPR સહિતની ટ્રેનિંગ આપવામાં આવશે. ગોલ્ડન અવરમાં ઝડપી સારવાર આપવામાં આવશે. જેથી લોકોના જીવ બચાવી શકાય. મરેંગો એશિયા હોસ્પિટલ્સના ફાઉન્ડિંગ મેમ્બર, મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ CEOએ ડૉ. રાજીવ સિંઘલે જણાવ્યું હતું કે, આજે મરેંગો એશિયા હોસ્પિટલ્સ માટે એક ઐતિહાસિક દિવસ છે. અમે ગ્લોબલ સનશાઇન હોસ્પિટલમાં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો છે. આ જોડાણ સાથે મરેંગો એશિયા હવે ગુજરાતમાં સૌથી મોટી હોસ્પિટલ ચેન તરીકે ઉભરી આવી છે. અમારી પાસે હવે ગુજરાતમાં 1100થી વધુ બેડની ક્ષમતા છે, જે કોઈપણ નેશનલ ચેન કરતા વધારે છે. સમગ્ર દેશમાં અમારી ચેન પાસે હવે 2500 બેડ અને 8 હોસ્પિટલો છે, જેમાંની એક સાઉદી અરેબિયામાં પણ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારો મુખ્ય ઉદ્દેશ્ય હેલ્થકેરના સ્તરને સુધારવાનો છે. અમે એવા શહેરોમાં જવા માંગીએ છીએ જ્યાં અત્યાધુનિક સારવારનો અભાવ હોય. અમે વડોદરા અને સુરત જેવા શહેરોમાં એવી ટેકનોલોજી અને સારવાર લાવવા માંગીએ છીએ જે અત્યાર સુધી અહીં ઉપલબ્ધ નહોતી. હવે દર્દીઓને જટિલ સારવાર માટે મોટા મેટ્રો શહેરોમાં જવાની જરૂર નહીં પડે. તેઓએ કહ્યું કે, અમારો ખાસ ભાર ટ્રાન્સપ્લાન્ટ પર રહેશે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, લંગ ટ્રાન્સપ્લાન્ટ, લિવર ટ્રાન્સપ્લાન્ટ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સુવિધાઓ અહીં કાં તો નહોતી અથવા ખૂબ જ મર્યાદિત હતી. અમે આ તમામ જટિલ સર્જરીઓ અને તેના નિષ્ણાતોને અહીં લાવીશું. હવે વડોદરા અને સુરતના દર્દીઓને એક 'સેફ ક્લિનિકલ કોરિડોર' મળશે, જેથી તેમને શ્રેષ્ઠ ઈલાજ ઘર આંગણે જ મળી રહે. ટતેઓએ કહ્યું કે, આ અમારી એક સામાજિક જવાબદારી છે. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ઘણા અકસ્માતો થાય છે, યુવાનો જીવ ગુમાવે છે. જેને લઈને હાઈવેને દત્તક લેવામાં આવ્યો છે. અમે ટાટા મોટર્સ અને હાર્વર્ડના સહયોગથી લોકોને ટ્રેનિંગ આપીશું. અમારો પ્રયાસ છે કે 'ગોલ્ડન અવર'માં દર્દીને યોગ્ય સારવાર મળે, જેથી મૃત્યુદર ઘટાડી શકાય.
સાબરકાંઠા જિલ્લા પોલીસની વિવિધ ટીમોએ પેટ્રોલિંગ અને ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને છેલ્લા ઘણા સમયથી પોલીસને થાપ આપી રહેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં દોઢ વર્ષથી ફરાર પોક્સોના આરોપીને હિંમતનગર બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લેવામાં સફળતા મળી છે. 1.5 વર્ષથી ફરાર પોક્સોનો આરોપી ઝડપાયોહિંમતનગર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સોના ગુનામાં છેલ્લા 1.5 વર્ષથી નાસતો-ફરતો આરોપી રાણાદા રવિન્દ્રનાથ પ્રસાદ (રહે. ન્યુ કોલોની, પશ્ચિમ બંગાળ) હિંમતનગર બસ સ્ટેન્ડ પાસે હોવાની બાતમી મળી હતી. LCB PI ડી.ડી. સાકરિયાના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા ટીમ-1 ના PSI આર.એલ. દેસાઈ અને તેમની ટીમે છટકું ગોઠવી આરોપીને દબોચી લીધો હતો. પકડાયેલા આરોપીને વધુ તપાસ માટે A ડિવિઝન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 4 વર્ષથી નાસતો-ફરતો પ્રોહિબિશનનો આરોપી પકડાયોતલોદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 4 વર્ષથી ફરાર આરોપી અંગે બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે રણાસણ ચોકડી પાસેથી સતીષ બાબુલાલ ખરાડી (ઉંમર 24, રહે. ઉદયપુર, રાજસ્થાન) ને ઝડપી પાડ્યો હતો. આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સજા પામેલો આરોપી SOGની પકડમાંસાબરકાંઠા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ના ઇન્ચાર્જ PI કે.યુ. ચૌધરી અને તેમની ટીમ ATS ચાર્ટર સંબંધિત કામગીરીમાં હતી. આ દરમિયાન ઇડરની જ્યુડિશિયલ કોર્ટમાં ફોજદારી કેસ નંબર 1936/2024 માં સજા પામેલો આરોપી સિરાજ ગફુર મેમણ તેના ઘરે હોવાની બાતમી મળી હતી. પોલીસે તાત્કાલિક ઇડરના અમનપાર્ક વિસ્તારમાં દરોડો પાડીને આરોપીને તેના ઘરેથી ઝડપી લીધો હતો.
ABVP દ્વારા સાબરમતી વિસ્તારમાં આવેલી મેડીલીંક ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ સાયન્સ કોલેજમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોલેજ, હોસ્ટેલ તથા સંબંધિત સુવિધાઓમાં ગંભીર ખામીઓ હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં ABVPના કાર્યકર્તાઓ કોલેજ ખાતે પહોંચ્યા હતા. ત્યારે સત્તાધીશો દ્વારા દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. જેથી આક્રોશમાં આવીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ કોલેજના પોસ્ટર ફાડી નાખ્યા છે. તેમજ ઇલેક્ટ્રિક માટેની મેઈન સ્વિચ બંધ કરી દીધી છે. મેઈન દરવાજો તોડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. લાકડીઓ સાથે પોલીસને ઉતારવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં મતદાન દિવસે શ્રમયોગીઓને સવેતન રજા:પગાર કપાત નહીં થાય, ઉલ્લંઘન પર કાર્યવાહી થશે
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે શ્રમયોગીઓને સવેતન રજા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયનો હેતુ લોકશાહીના પર્વમાં તમામ શ્રમયોગીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે. આ રજા કારખાના ધારા (ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ કોડ, 2020) તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન એક્ટ હેઠળ નોંધાયેલ તમામ સંસ્થાઓ અને સાઇટના શ્રમયોગીઓને લાગુ પડશે. આ અંગે આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે. લોકપ્રતિનિધિત્વ ધારા-1951ની કલમ 135(બી) મુજબ, આ રજા જાહેર થવાથી સંબંધિત શ્રમયોગી કે કર્મચારીના પગારમાંથી કોઈ કપાત કરી શકાશે નહીં. જો કોઈ કર્મચારી રજાના કારણે પગાર મેળવવાનો હક ન ધરાવતો હોય, તો પણ તેને તે દિવસનો પૂરો પગાર ચૂકવવાનો રહેશે. જે વ્યવસાયોમાં કર્મચારીની ગેરહાજરીથી મોટું નુકસાન કે જોખમ ઊભું થવાની સંભાવના હોય, અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનાઓમાં કામ કરતા શ્રમયોગીઓ માટે ખાસ વ્યવસ્થા કરવાની રહેશે. આવા કિસ્સાઓમાં, શ્રમયોગીઓ મતદાન કરી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી ત્રણથી ચાર કલાકની સવેતન રજા આપવાની રહેશે. કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા આ કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરશે, તો તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.
વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. હવે પ્રચારનો પ્રારંભ થયો છે ત્યારે પ્રચાર દરમિયાન આક્ષેપ પ્રતિ આક્ષેપ જોવા મળી રહ્યા છે. વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વોર્ડ 15માં ચૂંટણી પ્રચાર દરમિયાન ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતાને આડકતરી રીતે ચેલેન્જ આપી હતી. તેઓએ ત્યાં સુધી કહી દીધું હતું કે ચૂંટણી પછી કોઈ બચાવવા નહીં આવે. વિસ્તારમાં લાગેલા બેનરો અંગે તીખી પ્રતિક્રિયાવોર્ડ 15માં બે દિવસ અગાઉ કેટલીક સોસાયટીમાં બેનરો લાગ્યા હતા કે, આ સોસાયટી રામભક્તોની છે જેથી કોંગ્રેસે અહીં પ્રવેશ કરવો નહીં. આ મુદ્દે મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, અમે વર્ષોથી રામભક્ત છે અને સનાતની છીએ. અમે અમારી જમીનો વેચીને હનુમાનજીની ઊંચી પ્રતિમા બનાવી છે. અમારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. વહેલા બેનરો ઉતારી લેજો નહીં તો ચૂંટણી પછી કોઈ બચાવવા નહીં આવે. આ મધુ શ્રીવાસ્તવ છે આજે પણ તમને હરાવવાની તાકાત રાખે છે. ભ્રષ્ટાચાર કરી મિલકત ભેગી કર્યાના આક્ષેપમધુ શ્રીવાસ્તવે પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે, એક સમયમાં જેઓ પાસે કંઈ ન હતું તેઓ આજે કરોડોની મિલકતના માલિક થઈ ગયા છે. શૈલેષ મહેતા ઉપર નિશાન તાકતા તેઓએ જણાવ્યું હતું કે સ્કુલ ખોલી લોકો સાથે ચીટીંગ કરવાની, પેટ્રોલપંપો બનાવવાના અને જમીનો હડપ કરવાની તે બધા ધંધા છે. મારી પાસે 250 વીઘા જમીન હતી જે રાજકારણ માટે અને સેવા માટે વેચી હવે ખાલી 35 વીઘા રહી છે. આ બની બેઠેલા નેતાઓ છે ત્યારે હવે પરિવર્તન લાવવાની જરૂર છે. 'તમને જીતાડનાર પણ મધુ શ્રીવાસ્તવ હતા અને હરાવનાર પણ હું જ હતો'તેઓએ જાહેરમાં જણાવ્યું હતું કે તમને જીતાડનાર પણ મધુ શ્રીવાસ્તવ જ હતા અને હરાવનાર પણ મધુ શ્રીવાસ્તવ છે. મારી દીકરીઓ દસ વર્ષે આ વિસ્તારની સેવા કરે છે. મેં કોંગ્રેસને બિનશરતી ટેકો આપ્યો છે. આ વખતે આ લોકોને જાકારો આપવાનો સમય આવી ગયો છે. તેઓએ જણાવ્યું હતું કે, સરકારી કચેરીઓના દાખલો કઢાવવા માટે પણ પૈસા આપવા પડે છે. ભ્રષ્ટાચાર સિવાય કામ થતાં નથી ત્યારે લોકોએ સમજવાની જરૂર છે.
ટેક્સટાઇલ હબ સુરતમાં આગની ઘટનાઓનો સિલસિલો યથાવત છે. આજે (16 એપ્રિલ) શહેરના કમેલા દરવાજા વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-1ના પહેલા માળે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ છે. કાપડનો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા. આગની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડ દ્વારા 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો છે. સાત અલગ-અલગ ફાયર સ્ટેશનની 14થી વધુ ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. ફાયરના જવાનો દ્વારા હાલ ચારેબાજુથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગને પગલે માર્કેટમાં રહેલા લોકોનું તાત્કાલિક સ્થળાંતર કરવામાં આવ્યું છે અને વીજ પુરવઠો કાપી દેવામાં આવ્યો છે. તો સાથે વેપારીઓ પોતાનો માલ બચાવવામાં પણ લાગ્યા હતાં. આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ…
નવસારી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી રસ્તા પહોળા કરવાની ઝુંબેશ હેઠળ 41 જેટલી આદિવાસી વસાહતો પર ડિમોલિશનની તલવાર લટકતા આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. 'આદિવાસી જનજાગૃતિ સમિતિ'ના નેજા હેઠળ એકત્ર થયેલા પ્રચંડ માનવ મહેરામણે મનપા કચેરી સુધી વિરોધ રેલી યોજી હતી અને મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી વિરુદ્ધ આભ ગજવતા સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આ આંદોલને નવસારીના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મહાનગરપાલિકાની સીમામાં જ અસરગ્રસ્તોને ઘરની માગસમિતિએ તંત્ર પર આકરા પ્રહાર કરતા આક્ષેપ કર્યો છે કે, દાયકાઓથી વસવાટ કરતા આદિવાસી પરિવારોને વિશ્વાસમાં લીધા વિના જ વહીવટી તંત્ર દ્વારા આડેધડ ઘર તોડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. આંદોલનકારીઓની સ્પષ્ટ અને તાર્કિક માંગ છે કે, જો શહેરના વિકાસ માટે રસ્તા પહોળા કરવા અને ઘર તોડવા અનિવાર્ય હોય, તો નવસારી મહાનગરપાલિકાની સીમામાં જ અસરગ્રસ્તોને કાયમી ધોરણે સંપૂર્ણ સુવિધા સાથેના વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરી આપવામાં આવે. મતદાન પહેલાં જ સંવેદનશીલ મુદ્દો આદિવાસી સમાજના અગ્રણીઓએ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપરત કરી રજૂઆત કરી હતી કે, જે વસાહતોમાં લોકો વર્ષોથી સ્થાયી થયા છે તેમને તાત્કાલિક ધોરણે પ્રોપર્ટી કાર્ડ અને આકારણી સાથે કાયદેસરના માલિકી હક એનાયત કરવામાં આવે. આગામી ચૂંટણીના સમીકરણોમાં આ સંવેદનશીલ મુદ્દો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે તેમ છે. સામાજિક પ્રતિનિધિઓ સાથે પરામર્શની માગ આ આંદોલનના મુખ્ય એજન્ડામાં વર્ષો જૂના વસવાટના સ્થાને પ્રોપર્ટી કાર્ડ અને માલિકી હકની ખાતરી, કોઈપણ પ્રકારના ડિમોલિશન પૂર્વે સુવ્યવસ્થિત પુનર્વસન, કપાત બાદ બાકી રહેલી જમીન પર ઉપરના માળના બાંધકામની કાયદેસર મંજૂરી અને ભવિષ્યમાં કોઈપણ સરકારી યોજનાના અમલીકરણ પૂર્વે સામાજિક પ્રતિનિધિઓ સાથે પરામર્શનો સમાવેશ થાય છે. આદિવાસી પરિવારોમાં છત્ર છીનવાઈ જવાનો ભયવહીવટી તંત્રની આકરી કાર્યવાહીને પગલે સેંકડો આદિવાસી પરિવારોમાં પોતાનું છત્ર છીનવાઈ જવાનો ભય વ્યાપ્યો છે. પરિણામે, પોતાના અસ્તિત્વ અને અધિકારોની રક્ષા માટે આદિવાસી સમાજ હવે શાસકો અને તંત્ર સામે આરપારની લડાઈ લડવાના મૂડમાં હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
ગોધરા શહેરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા મોડિફાઈડ સાયલેન્સરવાળા બુલેટ ચાલકો સામે બી-ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે 20 મોડિફાઈડ સાયલેન્સર જપ્ત કર્યા હતા અને કસૂરવાર ચાલકો પાસેથી કુલ ₹10,000 નો દંડ વસૂલ કર્યો હતો. પોલીસે શહેરના વિવિધ માર્ગો પર ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન, કેટલાક બુલેટ ચાલકો તેમના વાહનોમાં કંપની ફિટિંગના સાયલેન્સરમાં ફેરફાર કરીને કર્કશ અવાજ અને ફટાકડા જેવા અવાજ સાથે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા જોવા મળ્યા હતા. નિયમ વિરુદ્ધ મોડિફાઈડ સાયલેન્સરનો ઉપયોગ કરતા ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના શાંત વિસ્તારો અને જાહેર માર્ગો પર બુલેટના આવા કર્કશ અવાજને કારણે નાગરિકો અને વડીલોને થતી હાલાકીને ધ્યાનમાં રાખીને પોલીસે આ પગલાં લીધા હતા. આ કાર્યવાહીથી સ્થાનિકોમાં સંતોષ જોવા મળી રહ્યો છે.
સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં 16 વર્ષની ધોરણ 11માં અભ્યાસ કરતી સગીરા સુસાઇડ કરવાના ઇરાદે ઘર છોડીને ચાલી ગઈ હતી. જોકે, ઉત્રાણ પોલીસની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીને કારણે ગણતરીના કલાકોમાં જ સગીરાને શોધી કાઢી તેના માતા-પિતાને સોંપવામાં આવી છે. મોડી રાત્રે ઘર છોડ્યું, સવારે 9 વાગ્યે પોલીસને જાણ કરીમળતી માહિતી પ્રમાણે, બે દિવસ પહેલા રાત્રે આશરે 2.20 વાગ્યાના સુમારે 16 વર્ષની ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પરિવારને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. ઘરે એક ચિઠ્ઠી છોડી હતી કે, આપઘાત કરવા જઈ રહી છું. સવારે 9 વાગ્યે જ્યારે પરિવારે પોલીસ સ્ટેશન પહોંચીને દીકરી ગુમ હોવાની જાણ કરી, ત્યારે પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી. સગીરા સુસાઇડ કરવાના ઇરાદે ગઈ હોવાની જાણ થતાં પોલીસે મામલાની ગંભીરતા સમજી તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. CCTV અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી મળી સફળતાઉત્રાણ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.આર. ગોસ્વામી અને એન.જી. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે તપાસ તેજ કરી હતી. પોલીસે ઘરની આસપાસના સીસીટીવી કેમેરાથી લઈને રેલ્વે સ્ટેશન સુધીના ફૂટેજ તપાસ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે સર્વેલન્સ સ્કોર્ડના અર્જુનસિંહ અને મેહુલભાઇને બાતમી મળી હતી કે, સગીરા ગોડાદરા વિસ્તારમાં છે. ગોડાદરાના ગાર્ડનમાં ડિપ્રેશનમાં બેઠી હતી સગીરાપોલીસની ટીમે ગોડાદરા વિસ્તારમાં તપાસ કરતા ત્યાં એક સર્કલ પાસે આવેલા ગાર્ડનમાં મંદિર પાસે સગીરા ડિપ્રેશનની હાલતમાં મળી આવી હતી. પોલીસે તેને પકડીને પ્રેમથી સમજાવી હતી અને શાંત્વના આપી હતી. ત્યારબાદ તેને સુરક્ષિત રીતે તેના માતા-પિતાને સોંપી દેવામાં આવી હતી. પોલીસે વિદ્યાર્થીની અને તેના પરિવારજનોનું પણ કાઉન્સેલિંગ કર્યું હતું.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે પીંપળા વાસમાં આવેલા શ્રી નાથબાઈ માતાના મંદિરે પટેલ પરિવારો દ્વારા ચૈત્ર માસ નિમિત્તે રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શક્તિ ઉપાસકો દ્વારા કુવાસીઓનો આદર સત્કાર કરવા તેમજ જીવનમાં સારા કાર્યો કરવા માટે આશીર્વાદ અપાયા હતા. ગામના માઈભક્ત જયેશભાઈ રામજીભાઈ પટેલના યજમાન પદે આ રમેલ માંડવાનું આયોજન થયું હતું. જેમાં શક્તિ ઉપાસકો સનાજી દરબાર, દિલીપભાઈ વ્યાસ, મનાજી દરબાર, ભોગીલાલ પ્રજાપતિ, દિનેશભાઈ ખટાણા, દશરથભાઈ પ્રજાપતિ, બચુભાઈ નાઈ અને ધીરાજી ઠાકોર સહિત અન્ય ઉપાસકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપાસકો દ્વારા વિવિધ માતાજીનું આહવાન કરવામાં આવ્યું હતું. તેમણે ચૈત્રી શક્તિ ભક્તિના આ માંડવા બદલ આશીર્વાદ આપ્યા હતા. આ ઉપરાંત, જીવનમાં ખોટા કામ ન કરવા, ખોટા વહેમ ન રાખવા, શક્તિમાં શ્રદ્ધા રાખવા અને પ્રભુને માથે રાખીને સાચા માર્ગે જીવન જીવવા તેમજ કુવાસીઓનો આદર સત્કાર કરવા અંગે બોધપાઠ આપ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે ગોવાભાઈ પટેલ, જયંતીભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, અલ્પેશભાઈ, સંજયભાઈ, માઈભક્ત મેવાભાઈ રાવળ, લાલજીભાઈ પટેલ, રામજીભાઈ પટેલ સહિત મહોલ્લાના રહીશો અને ગ્રામજનો તેમજ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીના દર્શન અને આરાધન કર્યા હતા.
સુરત મહાનગરપાલિકાની 2026ની ચૂંટણી માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. ભારતીય જનતા પાર્ટીએ ‘અબ કી બાર 120’ના મજબૂત લક્ષ્યાંક સાથે પોતાનું 'સંકલ્પ પત્ર-2026' જાહેર કર્યું છે. આ મેનિફેસ્ટોમાં ભાજપે સુરતના મતદારોને આધુનિક સુવિધાઓ અને સ્માર્ટ સિટીના સપના સાકાર કરવાનું વચન આપ્યું છે. ખાસ કરીને મધ્યમ વર્ગ અને યુવાનોને આકર્ષવા માટે શિક્ષણ, પરિવહન અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ભાજપનો દાવો છે કે આ સંકલ્પ પત્ર સુરતને આવનારા 5 વર્ષમાં વૈશ્વિક નકશા પર એક નવી ઓળખ અપાવશે. મતદારો માટે વચનોનો પિટારો: ભાજપનો માસ્ટરપ્લાનભાજપે પોતાના સંકલ્પ પત્રની શરૂઆતમાં જ મતદારો પર વચનોનો વરસાદ કર્યો છે. પક્ષના પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું હતું કે, સુરત છેલ્લા 30 વર્ષથી ભાજપનું ગઢ રહ્યું છે અને આ વિશ્વાસને જાળવી રાખવા માટે ભાજપ દરેક છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડશે. સંકલ્પ પત્રમાં વચન આપવામાં આવ્યું છે કે સુરતને માત્ર ગ્રીન સિટી જ નહીં, પરંતુ ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ દેશનું અગ્રેસર શહેર બનાવવામાં આવશે. ભાજપે મતદારોને ખાતરી આપી છે કે સુરતમાં રહેણીકરણીનું સ્તર સુધારવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટું રોકાણ કરવામાં આવશે. શિક્ષણમાં મોટો બદલાવ: હવે પાલિકાની પોતાની કોલેજ હશેશિક્ષણ ક્ષેત્રે ભાજપે ક્રાંતિકારી જાહેરાત કરી છે. અત્યાર સુધી પાલિકા માત્ર પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પર ધ્યાન આપતી હતી, પરંતુ હવે 2026 ના સંકલ્પ મુજબ પાલિકા હસ્તકની ઉચ્ચ શિક્ષણ માટેની કોલેજો પણ શરૂ કરવામાં આવશે. આ કોલેજોમાં આધુનિક યુગના વિષયો જેવા કે AI (Artificial Intelligence), રોબોટિક્સ અને ડ્રોન ટેકનોલોજીનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવશે. આનાથી સુરતના સામાન્ય પરિવારના બાળકોને પણ ટેકનિકલ શિક્ષણ ખૂબ જ રાહત દરે મળી શકશે. ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ: 'વન સિટી વન કાર્ડ' ની ભેટસુરતીઓ માટે ટ્રાફિક અને પરિવહન હંમેશા ચિંતાનો વિષય રહ્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે ભાજપે 'One City One Card' (Common Mobility Card) યોજના અમલમાં મૂકવાનું વચન આપ્યું છે. આ 1 કાર્ડની મદદથી નાગરિકો મેટ્રો, BRTS અને સિટી બસમાં મુસાફરી કરી શકશે. અલગ-અલગ ટિકિટ લેવાની પળોજણમાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત, મેટ્રો રેલ પ્રોજેક્ટને 100% ઝડપે પૂર્ણ કરી શહેરના ખૂણે ખૂણે કનેક્ટિવિટી આપવાનું આયોજન છે. ફ્રી વીજળીનું મોડેલ: પાલિકાનું બિલ થશે શૂન્યભાજપે જાહેર કર્યું છે કે સુરત મહાનગરપાલિકાના તમામ સરકારી મકાનો અને સુવિધાઓ પર વિશાળ સોલર પ્લાન્ટ્સ નાખવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પાલિકાના વીજળી બિલને 0 કરવાનું છે. સોલર એનર્જીનો વ્યાપ વધારીને પર્યાવરણનું જતન તો થશે જ, પરંતુ પાલિકાના કરોડો રૂપિયાની બચત પણ થશે. આ ઉપરાંત શહેરમાં 24x7 શુદ્ધ પાણી પુરવઠો પહોંચાડવા માટે આધુનિક પમ્પિંગ સ્ટેશનો અને નવી પાઈપલાઈન નાખવાની પણ ખાતરી અપાઈ છે. હાઈ-ટેક સુરક્ષા: 104 મીટરની ઊંચાઈએથી ફાયર ફાઈટિંગસુરતમાં વધતા જતા હાઈરાઈઝ બિલ્ડિંગોને ધ્યાનમાં રાખીને ફાયર સેફ્ટીમાં મોટા ફેરફારનું વચન અપાયું છે. ભાજપે 104 મીટરની ઊંચાઈ ધરાવતું એરિયલ લેડર પ્લેટફોર્મ વસાવવાની વાત કરી છે, જે કોઈ પણ મોટી આગની ઘટનામાં જીવન બચાવવા માટે સક્ષમ હશે. આ સિવાય, ડ્રોન ટેકનોલોજી દ્વારા શહેરના વ્યસ્ત વિસ્તારોનું મોનિટરિંગ કરવામાં આવશે જેથી ગુનાખોરી અને ટ્રાફિક બંને પર કાબૂ મેળવી શકાય. વહીવટી સરળતા માટે 107.60 મીટર ઊંચું નવું આઈકોનિક વહીવટી ભવન પણ ટૂંક સમયમાં જનતા માટે ખુલ્લું મુકાશે. પર્યટન અને પરંપરાનો સંગમ: રિવરફ્રન્ટ અને જીવદયાતાપી નદીના શુદ્ધિકરણ અને સૌંદર્યીકરણ માટે રિવરફ્રન્ટ પ્રોજેક્ટને કઠોર બ્રિજથી રૂંઢ બરાજ સુધી લંબાવવામાં આવશે. ડુમસ બીચના ફેઝ 2 ની કામગીરી અને નવા થીમ પાર્ક શહેરના પર્યટનને વેગ આપશે. બીજી તરફ, સંસ્કૃતિને જાળવી રાખવા માટે ધાર્મિક તહેવારો પર કતલખાના બંધ રાખવાની પરંપરા ચાલુ રાખવાનું અને જીવદયા માટે કામ કરતી સંસ્થાઓને વિશેષ અનુદાન આપવાનું વચન પણ ભાજપે આપ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યનની ચૂંટણીને લઈ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે 16 એપ્રિલ ગઈકાલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો , ત્યારે અંતિમ દિવસે ચૂંટણી લડ્યા વગર જ જીત સુનિશ્ચિત કરવા માટે રાજકીય પક્ષો દ્વારા જોરદાર કાવા-દાવા અને ગોઠવણો ચાલી રહી હતી. આ દરમિયાન વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાની કુંઢેલા સીટ પર આપના ઉમેદવાર પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચતા રાજકીય માહોલ ખાસ કરીને ગરમાયો હતો. આ દરમ્યાન આપ ,ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ સ્થળે થયેલી બબાલમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. તાલકા કોંગ્રેસ પ્રમુખ સહિત 7 સામે ફરિયાદઆ મામલે મુળજી વસાવાએ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટ (રહે. સાંઠોદ ગામ), રાકેશ પટેલ (રહે.રાજલી ગામ ) ,અંકિત બ્રહ્મબટ્ટ (રહે.થુવાવી ગામ), કમલ બારોટ (રહે.ડભોઇ ટાઉન, શોભરાજપાર્ક તા.ડભોઇ ) , અક્ષય બારોટ, અજય બારોટ (બંન્ને રહે. સાંઠોદ) અને દિલીપ પટેલ (રહે.કુંઢેલા ગામ ) સામે ફરિયાદ નોધવામાં આવી છે. જાતિ વિષયક અપમાનિત શબ્દો બોલ્યાનો આક્ષેપઆ બનાવમાં ફરીયાદી તાલુકા પંચાયત કુઢેલા સીટ ઉપરથી આમ આદમી પાર્ટીમાંથી ભરેલા ફોર્મ તેઓની સ્વેચ્છાએ પરત ખેચવા માટે ડભોઇ તાલુકા પંચાયત ખાતે ગયા હતા. દરમ્યાન શખસોએ ફરીયાદીને તુ ફોર્મ કેમ પાછું ખેચે છે? તે તારી જાત બતાવી દીધી છે. ફોર્મ પરત ખેચતો નહીં, તેવું કહી આ તમામે ગેરકાયદે મંડળી રચી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. સાથે બિભત્સ ગાળો અને જાહેરમાં જાતી વિષયક અપમાન જનક શબ્દો બોલી ફરિયાદી સાથે ઝપાઝપી તેમજ ધક્કામુકી કરતા આ મામલે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લોકશાહીને મજબૂત કરવાના સંકલ્પ સાથે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં કોઈપણ પ્રકારના દબાણ, ધમકીઓ કે પ્રલોભનો સામે ઝુક્યા વગર પોતાની ઉમેદવારી પાછી ન ખેંચી હિંમતભેર ચૂંટણી મેદાનમાં ડટેલા કોંગ્રેસના ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે કરાયું હતું. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના અગ્રણીઓએ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી અને તેમનું મનોબળ વધાર્યું હતું. આગેવાનોએ જણાવ્યું હતું કે લોકશાહી વ્યવસ્થામાં નિર્ભય અને નિષ્પક્ષ ચૂંટણી અત્યંત આવશ્યક છે. કોંગ્રેસના ઉમેદવારોએ આ સિદ્ધાંતને જાળવી રાખી દબાણ સામે અડીખમ રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટી લોકશાહી મૂલ્યોને જાળવવા માટે પ્રતિબદ્ધ છે. દરેક ઉમેદવારને પૂર્ણ સહકાર આપવામાં આવશે તેમ પણ જણાવાયું હતું. સાથે જ, કાર્યકર્તાઓને પણ વધુ સક્રિય બની ચૂંટણીમાં પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી કોંગ્રેસના ઉમેદવારોમાં નવી ઉર્જાનો સંચાર થયો હતો. તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે ચૂંટણી લડવા માટે સજ્જ બન્યા હોવાનું જોવા મળ્યું હતું.
હિંમતનગરમાં અન્ડર-14 ફૂટબોલ સ્પર્ધા શરૂ:અમદાવાદ વિભાગની સાત ટીમો ભાગ લેશે, ઉદ્ઘાટન સમારોહ યોજાયો
હિંમતનગરની પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલયમાં આજથી અન્ડર-14 ભાઈઓની બે દિવસીય ફૂટબોલ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. અમદાવાદ વિભાગના કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની કુલ સાત ટીમોના 98 ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આચાર્ય મહેન્દ્ર પ્રસાદ અને ફૂટબોલ ખેલાડી સિંધી મિસબા રફીકભાઈએ પ્રસંગોચિત સંબોધન કર્યું હતું. ત્યારબાદ ફ્લેગ ઓફ કરીને સ્પર્ધાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોચ સુનીત આઝાદ, પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકગણ અને સ્ટાફ હાજર રહ્યા હતા. આજે લીગ મેચો રમાશે, જ્યારે આવતીકાલે સેમીફાઇનલ અને ફાઇનલ મેચો યોજાશે. જુનાગઢ, સામના, હિંમતનગર, ગાંધીનગર કેન્ટ, અમદાવાદ કેન્ટ અને વડોદરાની કેન્દ્રીય વિદ્યાલયની ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. ટીમોને 'એ' અને 'બી' પૂલમાં વિભાજિત કરીને લીગ મેચો રમાડવામાં આવશે. હિંમતનગર પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય મહેન્દ્ર પ્રસાદે જણાવ્યું હતું કે, ફૂટબોલ જેવી રમત લીડરશીપ, ટીમવર્ક, ટીમ સ્પિરિટ અને ખેલ ભાવના પ્રદર્શિત કરે છે. આ સ્પર્ધાની વિજેતા ટીમ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
ગાંધીનગર ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા આયોજિત ‘GATE 2026’ ટ્રેડ એક્સ્પોનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ગાંધીનગર હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયેલા આ ત્રણ દિવસીય એક્સ્પોમાં 610 જેટલા સ્ટોલ દ્વારા વિવિધ ઉદ્યોગોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જ્યાં 50 હજારથી વધુ મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે. આ પ્રસંગે ક્રેડાઈ પ્રમુખ શેખરભાઈ પટેલ તેમજ જીનલ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગ, ટેક્નોલોજી અને નવીનતા પર કેન્દ્રિત આ એક્સ્પોમાં સેમીકન્ડક્ટર, ઓટોમોબાઈલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા ક્ષેત્રોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 'PMના નેતૃત્વમાં વેપાર અને ઉદ્યોગને નવી દિશા મળી' મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “દેશ આજે વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વેપાર અને ઉદ્યોગને નવી દિશા મળી છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત આજે વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર બની રહ્યું છે અને આવનારા સમયમાં સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. GATE 2026નું આયોજન વિકસિત ભારતના વિઝનને આગળ વધારશેતેમણે GCCIની ભૂમિકા અંગે પણ વખાણ કરતાં જણાવ્યું કે, ઉદ્યોગોના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવામાં GCCIનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. સાથે જ ‘વાઇબ્રન્ટ સમિટ’ જેવી પહેલો દ્વારા ગુજરાતની ક્ષમતાને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં આવી રહી છે.GCCIના પ્રમુખ સંદીપભાઈ એન્જિનિયરે જણાવ્યું કે, “GATE 2026નું આયોજન વિકસિત ભારતના વિઝનને આગળ વધારવા માટે કરવામાં આવ્યું છે. 610 સ્ટોલ સાથે વિવિધ ક્ષેત્રોને એક જ મંચ પર લાવવામાં આવ્યા છે.” તેમણે ઉમેર્યું કે, ગ્લોબલ પરિસ્થિતિ હવે સ્થિર બની રહી છે અને આ આયોજન દરમિયાન કોઈ ખાસ પડકારોનો સામનો કરવો પડ્યો નથી. એક્સ્પોમાં કોમન ગેમ્સના રોડમેપ જેવા વિષયો પણ સમાવેશ કરવામાં આવ્યા છે, જે ભવિષ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.આ રીતે, ‘GATE 2026’ ટ્રેડ એક્સ્પો રાજ્યના ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રને નવી ઊંચાઈઓ તરફ દોરી જવાનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યો છે.
જામનગરમાં ક્રિકેટ સટ્ટાબાજી કરતા બે ઝડપાયા:પૂછપરછમાં બે બુકીના નામ ખુલ્યા, ₹11 હજારનો મુદ્દામાલ જપ્ત
જામનગરમાં IPL ક્રિકેટ મેચ પર સટ્ટાબાજી કરતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. તેમની પૂછપરછમાં સટ્ટાની આઈડી આપનાર બે બુકીના નામ ખુલ્યા છે, જેમને ફરાર જાહેર કરાયા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹11,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સિટી સી ડિવિઝન પોલીસે ગઈ રાત્રે કાર્યવાહી કરી આ આરોપીઓને રંગેહાથ પકડ્યા હતા. તેઓ જાહેરમાં ઊભા રહી મોબાઈલ ફોન દ્વારા ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટાબાજી કરી રહ્યા હતા. ખાસ કરીને RCB અને LSG વચ્ચેની મેચ દરમિયાન રનફેર તથા હાર-જીતના સોદા થતા હતા. ઝડપાયેલા આરોપીઓમાં જામનગરના પવનચક્કી ઢાળીયા નીચે રહેતા મયુર રાજેશભાઈ ફલીયા (ઉંમર ૨૮ વર્ષ) અને મિતેશ મુકેશભાઈ નંદા (ઉંમર ૨૭ વર્ષ)નો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં ભાવિન પ્રકાશભાઈ ફલીયા (મોબાઇલ નં. ૮૩૨૦૭૫૨૨૬૩) તથા અન્ય એક વ્યક્તિ (મોબાઇલ નં. ૭૫૬૭૪૮૯૬૬૩)ના નામ ખુલ્યા છે. આ બંનેને ફરાર જાહેર કરી તેમની શોધખોળ ચાલુ છે. પોલીસ રેઇડ દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ ₹1,000 અને બે મોબાઈલ ફોન મળી કુલ ₹11,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નંબર એક પોતાના મોબાઇલમાં “ઓલ પેનલ એક્સચેન્જ” નામની આઈડી મારફતે સટ્ટો ચલાવતો હતો, જ્યારે આરોપી નંબર બે લાઈવ મેચનો સ્કોર જોઈ ફોન દ્વારા સોદા કરતો હતો. આ સમગ્ર સટ્ટાબાજી ફરાર આરોપી ભાવિન ફલીયાના માર્ગદર્શન હેઠળ ચાલી રહી હતી. આ અંગે જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેર જુગાર અધિનિયમ હેઠળ કલમ ૧૨ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ફરારી આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વડોદરા શહેરમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે મહાનગરપાલિકાના કોંગ્રેસના બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું હતું. આખો દિવસ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો જે બાદ રાતે વિધાનસભાના વિપક્ષના નેતા તુષાર ચૌધરી વડોદરા પ્રચાર અર્થે આવ્યા હતા. તેઓએ ભાજપ ઉપર આક્ષેપ કર્યા હતા કે, ભાજપ પાસે રાજ્યમાં અને કેન્દ્રમાં આટલી બહુમતી છે તો પછી કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવા શું કામ પડે છે? તેઓ લોકશાહી ઢબે ચૂંટણી કેમ નથી થવા દેતા. કોંગ્રેસની પસંદગી પ્રક્રિયા સામે સવાલોડો.તુષાર ચૌધરીને પૂછવામાં આવ્યું કે શું તેઓની સેન્સ પ્રક્રિયામાં અથવા તો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં ખોટ નથી. જેના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, ક્યારેક ભાજપ પ્લાન્ટેડ ઉમેદવારો કોંગ્રેસ પાસે મોકલે છે, તેઓ ટિકિટ માગે છે, લોબિંગ પણ કરાવે છે અને ટિકિટ મળ્યા બાદ ભાજપના ખોળે બેસી જાય છે. ત્યારે ભાજપને જો લોકો મત આપવાના જ હોય તો આવું શું કામ કરે છે? તાકાત હોય તો લોકશાહીની રીતે ચૂંટણી થવા દો. અમે ગમે તેટલા નબળા ઉમેદવાર મૂકીએ ભાજપ તેનાથી પણ ડરી જાય છે? પસંદગી પ્રક્રિયા સ્થાનિક કક્ષાએ થાય છેવિધાનસભાના વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા સ્થાનિક કક્ષાએથી થાય છે. પ્રદેશ કક્ષાએ 10 હજાર કે તેથી વધુ ઉમેદવારો પૈકી એક એક કરીને સહુની પ્રોફાઈલ નથી જોવાતી. તે સ્થાનિક કક્ષાએ જોઈને અમારા સુધી નામો આવે છે અને તેના આધારે પસંદગી થાય છે ત્યારે સ્થાનિક કક્ષાએથી ઉમેદવારો કોણ કેવું છે તે માલુમ પડી શકે. પરંતુ ક્યારેક તેમાં ખોટા ઉમેદવાર પણ આવી જાય. વિકાસની ખાલી વાતો છે કોઈ વિકાસ થયો નથીતુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, હું વડોદરા ભણવા આવ્યો હતો. તેને વર્ષો વીતી ગયા. ત્યારના વડોદરા અને આજના વડોદરામાં કોઈ ફેર નથી. વિકાસની માત્ર વાતો થઇ છે. કોઈ વિકાસ દેખાતો નથી. ભાજપ ખાલી મોટી મોટી વાતો કરે છે અને આ વખતે વડોદરા મહાનગરપાલિકામાં અમારું બોર્ડ બનવાનું છે અમે જંગી બહુમતીથી જીતવાના છે તે નિશ્ચિત છે.
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 14 એપ્રિલ, 2026ના રોજ એક ભવ્ય કરિયર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ધોરણ 10 પહેલાં જ વિદ્યાર્થીઓને તેમની રુચિ અને કૌશલ્ય અનુસાર યોગ્ય કારકિર્દી પસંદગી માટે માર્ગદર્શન આપવાનો હતો. આ મહોત્સવમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રેઝન્ટેશન અને વીડિયો દ્વારા ડિપ્લોમા, ગ્રેજ્યુએશન અને માસ્ટર ડિગ્રીના વિવિધ વિકલ્પો રજૂ કર્યા હતા. ખાસ કરીને, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં વધતી તકો અને નવા કોર્સિસ વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમની એક વિશેષતા એ હતી કે વિદ્યાર્થીઓ વિવિધ વ્યવસાયોના યુનિફોર્મમાં સજ્જ થઈ “કરિયર વોરિયર્સ” તરીકે સ્ટેજ પર જોવા મળ્યા હતા, જે સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ ઉપરાંત, વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત વાલીઓએ નિષ્ણાત તરીકે જોડાઈ પોતાના અનુભવો શેર કરીને વિદ્યાર્થીઓને વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું. કોમર્સ પ્રવાહના વિદ્યાર્થીઓએ તેમની રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે ગોખણપટ્ટીને બદલે કન્સેપ્ટ આધારિત અભ્યાસથી વૈશ્વિક સ્તરે સફળ કારકિર્દી બનાવી શકાય છે. પ્રશ્નોત્તરી અને ચર્ચા દ્વારા આ કાર્યક્રમને વધુ અસરકારક બનાવવામાં આવ્યો હતો. આ કરિયર મહોત્સવ વિદ્યાર્થીઓ માટે માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ એક મહત્વપૂર્ણ માર્ગદર્શનરૂપ સાબિત થયો. આનાથી વિદ્યાર્થીઓમાં પોતાની કારકિર્દી પ્રત્યે નવો આત્મવિશ્વાસ વિકસ્યો છે અને શાળાના આ પ્રયાસને ગાંધીનગરના શૈક્ષણિક વર્તુળોમાં પ્રશંસા મળી રહી છે.
જૂનાગઢમાં જાગૃત નાગરિક અને તંત્ર વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. મહાનગરપાલિકામાં પોતાની મનમાની ચલાવતા અને નિર્ધારિત સમયે કચેરીએ હાજર ન રહેતા કર્મચારીઓની પોલ ખોલવી એક અરજદાર માટે આફત બની ગઈ છે. પાલિકાના વહીવટમાં ચાલતી લાપરવાહી અને અધિકારીઓની આપખુદશાહીનો વીડિયો ઉતારનાર કરશનભાઈ સોલંકી પર થયેલા હુમલા બાદ ન્યાય મેળવવા માટે તેમને આત્મઘાતી કદમ ઉઠાવવાની ફરજ પડી હતી. પોલીસ તંત્ર દ્વારા સતત કરવામાં આવેલી ઉપેક્ષાને કારણે હતાશ થઈ તેમણે એસપી કચેરી ખાતે જ આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર વિવાદ ત્યારે વકર્યો જ્યારે કરશનભાઈએ મનપાની બાંધકામ શાખામાં કર્મચારીઓની ગેરહાજરી અને સમયપાલનના અભાવ સામે અવાજ ઉઠાવ્યો હતો. જાગૃત નાગરિક તરીકે કરશન સોલંકીએ જ્યારે આ મનમાનીનું ફેસબુક લાઈવ કર્યું, ત્યારે ઉશ્કેરાયેલા એન્જિનિયર પાનસુરીયા અને અન્ય સ્ટાફે તેમની સાથે ઝપાઝપી કરી જાતિગત અપમાન કર્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, સાચા અરજદારની ફરિયાદ લેવાને બદલે પોલીસે કર્મચારીઓની તરફેણ કરી હતી. અંતે, પીડિતે ફિનાઈલ પીને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કરતા પોલીસ હરકતમાં આવી હતી અને એન્જિનિયર સહિતના શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર વિવાદની શરૂઆત ગત 13 એપ્રિલ ૨૦૨૬ના રોજ સોમવારે સવારે થઈ હતી. જૂનાગઢના મધુરમ બાયપાસ વિસ્તારમાં રહેતા 54 વર્ષીય કરશનભાઈ ઘેલાભાઈ સોલંકી પોતાના વિસ્તારમાં થતા ગેરકાયદેસર બાંધકામની રજૂઆત કરવા માટે મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખામાં ગયા હતા. સવારના 11:15 વાગ્યા જેવો સમય હોવા છતાં ઓફિસમાં મોટાભાગનો સ્ટાફ ગેરહાજર હતો અને લાઈટ-પંખા ચાલુ હતા. આ દ્રશ્ય જોઈને કરશનભાઈએ જાગૃત નાગરિક તરીકે સોશિયલ મીડિયા પર ફેસબુક લાઈવ શરૂ કર્યું હતું. આ લાઈવ વીડિયો વાયરલ થતા જ ઓફિસમાં હાજર કર્મચારીઓ રોષે ભરાયા હતા અને હડતાલ પર ઉતરી ગયા હતા. કરશનભાઈએ ફરિયાદ નોંધાવી હતી કે મનપામાં વીડિયો ઉતારતા જોઈને ત્યાં હાજર એન્જિનિયર પાનસુરીયા અને અન્ય સ્ટાફે તેમને ઘેરી લીધા હતા. ઓફિસમાં જ તેમની સાથે ઝપાઝપી શરૂ કરવામાં આવી અને ઢીંકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. આટલું જ નહીં, કરશનભાઈએ આક્ષેપ કર્યો છે કે એક કર્મચારીએ તો પોતાનું ચપ્પલ કાઢીને તેમના મોઢા પર વારંવાર પ્રહાર કર્યા હતા. આ હુમલા દરમિયાન કર્મચારીઓએ કરશનભાઈની જ્ઞાતિ પ્રત્યે અત્યંત અપમાનજનક શબ્દો વાપરીને તેમને જાહેરમાં નીચા દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાને કારણે કરશનભાઈને હોસ્પિટલ ભેગા થવાની નોબત આવી હતી. ચોંકાવનારી બાબત એ છે કે આ ઘટના બાદ જ્યારે કરશનભાઈ ન્યાય માંગવા પોલીસ પાસે પહોંચ્યા, ત્યારે તેમને કડવો અનુભવ થયો હતો. એક તરફ મનપાના કર્મચારીઓએ પોતાની બેદરકારી છુપાવવા માટે હડતાળ પાડી દીધી હતી અને મનપા કમિશનરની મધ્યસ્થીથી કરશનભાઈ સામે જ સામી ફરિયાદ નોંધાવી દીધી હતી. કોમ્પ્યુટર ઓપરેટર જીતેન્દ્ર દાસાએ કરેલી આ ફરિયાદમાં કરશનભાઈ પર ગેરવર્તન અને સરકારી કામમાં રુકાવટના આક્ષેપો કરવામાં આવ્યા હતા. નવાઈની વાત એ હતી કે કર્મચારીઓની ફરિયાદ પર પોલીસે ત્વરિત ગુનો નોંધ્યો, પરંતુ ગંભીર રીતે ઘવાયેલા અને અપમાનિત થયેલા દલિત અરજદારની ફરિયાદ લેવામાં ઠાગાઠૈયા કરવામાં આવ્યા હતા. પોલીસના પક્ષપાતી વલણથી કંટાળીને અને બી-ડિવિઝન પોલીસના પીઆઈ તથા પીએસઆઈ દ્વારા ફરિયાદ નોંધવામાં વિલંબ કરાતા કરશનભાઈ ભારે માનસિક તણાવમાં આવી ગયા હતા. તેમને લાગ્યું કે ગરીબ અને પછાત વર્ગના માણસ માટે કાયદાના દરવાજા બંધ છે. આ આક્રોશ અને હતાશામાં તેમણે ગઈકાલે જૂનાગઢ એસપી કચેરી ખાતે જ ફિનાઈલ પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. એસપી કચેરી જેવા સુરક્ષિત ગણાતા સ્થળે અરજદારના આ પગલાથી પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને આ સમાચાર વાયુવેગે પ્રસરતા દલિત સમાજમાં પણ રોષ ફાટી નીકળ્યો હતો. અરજદારના આ ઉગ્ર પગલાં અને વધતા જતાં જનરોષને જોઈને આખરે જૂનાગઢ પોલીસે નમતું જોખ્યું હતું. પોલીસે મોડી રાત્રે એન્જિનિયર પાનસુરીયા અને અન્ય બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. કરશનભાઈએ એસપીને આપેલા પત્રમાં સ્પષ્ટ માંગ કરી હતી કે જે પોલીસ અધિકારીઓએ ફરિયાદ લેવામાં બેદરકારી દાખવી છે તેમની સામે પણ એટ્રોસિટી એક્ટની કલમ 4(1) મુજબ પગલાં લેવામાં આવે. હાલમાં આ સમગ્ર મામલાની તપાસ એસ.સી./એસ.ટી. સેલના નાયબ પોલીસ અધીક્ષકને સોંપવામાં આવી છે.
સુરતથી પિયર આવેલી પરણીતાએ આપેલા ઉછીના રૂપિયા પરત માંગતા મામલો બિચક્યો હતો. પંચવટી ચોક વિસ્તારમાં યોજાયેલી સમાધાન બેઠકમાં ઉશ્કેરાયેલા સામા પક્ષે પરણીતા અને તેના પરિવાર પર ધોકા વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. શું છે સમગ્ર મામલો?સુરત રહેતી કિંજલબેન ચૌહાણે દોઢ વર્ષ પહેલાં પોતાની કૌટુંબિક ભાભી મનીષાબેન પરમારને ₹1.50 લાખ ઉછીના આપ્યા હતા. જેમાંથી ₹80,000 પરત મળ્યા હતા, પરંતુ બાકીના ₹70,000 બાબતે લાંબા સમયથી મનદુઃખ ચાલતું હતું. ગતરોજ કાકાના ઘરે આ મુદ્દે સમાધાન બેઠક યોજાઈ હતી. જેમાં વાતચીત દરમિયાન ઉશ્કેરાયેલા ફુવા ધીરુ સવજી પરમાર અને અન્ય ચાર વ્યક્તિએ ગાળાગાળી કરી કિંજલબેન, તેમના માતા-પિતા અને બહેન પર ધોકા વડે હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્તો સારવાર હેઠળહુમલામાં ઘવાયેલા આખા પરિવારને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસ કાર્યવાહી (BNS હેઠળ ગુનો)પરણીતાની ફરિયાદના આધારે ઘોઘારોડ પોલીસે કાળિયાબીડ વિસ્તારના ધીરુ સવજીભાઈ, નિલેશ, પ્રફુલ, અમિત અને મનીષાબેન વિરુદ્ધમાં BNS એક્ટ 115(2), 352, 351(3), 54 અને જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના દરેક ખૂણે 'નલ સે જલ' યોજના હેઠળ પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આ દાવાઓની પોકળતા છતી થઈ છે. સ્માર્ટ સિટી તરફ ગતિ કરી રહેલા રાજકોટમાં આજે પણ હજારો નાગરિકોએ પાણીના એક-એક ટીપા માટે ટેન્કરની પ્રતીક્ષા કરવી પડી રહી છે. તંત્ર દ્વારા ભલે આજી - ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠાલવીને જળાશયો છલકાવવામાં આવ્યા હોય, પરંતુ વિતરણ વ્યવસ્થામાં રહેલી ગંભીર ખામીઓને કારણે છેવાડાના વિસ્તારોમાં રહેતા 28,277 થી વધુ ફ્લેટ ધારકો અત્યારે સંપૂર્ણપણે ટેન્કરના ભરોસે રહેવા મજબુર છે. આ સોસાયટીઓએ તાત્કાલિક નળ કનેક્શન આપવા માંગ ઉઠાવી છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં વેસ્ટ ઝોન તેમજ ઈસ્ટ ઝોનના અનેક વિસ્તારોમાં જળ સંકટ એટલું ઘેરું બન્યું છે કે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હાઈરાઈઝ્ડ બિલ્ડિંગોમાં ભૂગર્ભ જળસ્તર ઐતિહાસિક રીતે નીચે ઉતરી ગયા છે, જેના કારણે વર્ષો જૂના બોર હવે ડુકી ગયા છે. જે વિસ્તારોમાં બોર કાર્યરત છે, ત્યાં પણ પ્રદૂષિત અને ક્ષારયુક્ત પાણી આવતું હોવાથી તે પીવાલાયક રહ્યું નથી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત આવાસ યોજનાઓમાં પણ જ્યારે 'નલ સે જલ' જેવી પાયાની સુવિધા ઉપલબ્ધ ન હોય, ત્યારે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, અમે નિયમિત વેરો ભરીએ છીએ છતાં પણ અમારે પાણી માટે ખાનગી કે સરકારી ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે, જે અત્યંત શરમજનક બાબત છે. આંકડાકીય પરિસ્થિતિ ઉપર નજર કરીએ તો, વેસ્ટ ઝોનના અંદાજે 16 જેટલા વિસ્તારોમાં સ્થિતિ અત્યંત ગંભીર છે. અહીં કુલ 28,277 ફ્લેટ ધારકોને દરરોજ અંદાજે 3,60,000 લીટર પાણી ટેન્કરથી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ આંકડો જ સૂચવે છે કે પાઈપલાઈન નેટવર્ક પહોંચાડવામાં મનપા તંત્ર નિષ્ફળ રહ્યું છે. વેસ્ટ ઝોનની અનેક સોસાયટીઓ જેવી કે સવન સ્ટેટસ, ગોકુલમ હાઉસિંગ, રંગોલીપાર્ક, શ્રી હાઉસિંગમાં દરરોજ પાણીના અનેક ફેરા કરવા પડે છે. જો ઉનાળાના પ્રારંભમાં આ સ્થિતિ હોય, તો મે અને જૂન મહિનાના આકરા તાપમાં લોકોની હાલત શું થશે તે વિચારીને જ ધ્રુજારી છૂટી જાય છે. સોસાયટી અને આવાસ યોજના દીઠ વિતરણની વ્યવસ્થા જોઈએ તો, રંગોલી પાર્ક આવાસ યોજનામાં 1164 ફ્લેટ ધારકો માટે 5000 લીટરની ક્ષમતા ધરાવતા 35 ટેન્કરો મોકલવામાં આવે છે. તેવી જ રીતે, ગોકુલમ હાઉસિંગ સોસાયટીના 200 ફ્લેટ માટે 6 ટેન્કર, સવન સ્ટેટસ ફ્લેટ્સમાં 176 પરિવારો માટે 6 ટેન્કર અને શ્રી હાઉસિંગ સોસાયટીના 224 પરિવારો માટે 7 ટેન્કરની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત, વોર્ડ નં. 11 ના વિવિધ 6 ફ્લેટ્સમાં રહેતા 266 પરિવારો માટે 9 ટેન્કર, એક્વાબ્લ્યુ એન્ટરપ્રાઈઝના 88 ફ્લેટ માટે 3 ટેન્કર અને હિલટોન બીલેવ્યુના 56 ફ્લેટ માટે 2 ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. તમામ વિસ્તારોમાં લોકોની એક જ માંગ છે કે અમને ટેન્કરના ભરોસે રાખવાને બદલે કાયમી નળ કનેક્શન આપવામાં આવે. ઈસ્ટ ઝોનની સ્થિતિ તો વેસ્ટ ઝોન કરતા પણ વધુ બદતર જોવા મળી રહી છે. વોર્ડ નં. 18 જેવા વિસ્તારોમાં હજુ સુધી પાણીની મુખ્ય પાઈપલાઈન જ પહોંચી નથી. મફતીયા પરા અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારો માટે તો પીવાનું પાણી મેળવવું એ રોજિંદો જંગ બની ગયો છે. ડંકીઓ ડુકી જવાને કારણે મહિલાઓને માથે બેડા લઈને દૂર-દૂર સુધી ભટકવું પડે છે. તંત્ર દ્વારા ટેન્કર માટેના ટેન્ડરો તો બહાર પાડવામાં આવ્યા છે, પરંતુ એજન્સીઓ દ્વારા સમયસર પાણી પહોંચાડવામાં આવતું નથી તેવી ફરિયાદો મંછાનગર અને આસપાસના વિસ્તારોમાંથી ઉઠી છે. અધિકારીઓ એસી ઓફિસોમાં બેસીને આંકડાકીય માયાજાળ રચે છે, પરંતુ હકીકતમાં ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ અત્યંત સ્ફોટક છે. રાજકોટના કાલાવડ રોડ નજીક આવેલી રંગોલી પાર્ક સોસાયટીના રહીશો છેલ્લા 10 વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ બનેલી આ સોસાયટીમાં હજુ સુધી 'નલ સે જલ' યોજનાનો લાભ પહોંચ્યો નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીના પ્રમુખે દિવ્યભાસ્કર સમક્ષ વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, અમે છેલ્લા 10 વર્ષથી અહીં રહીએ છીએ, છતાં અમને પાલિકા દ્વારા નળ કનેક્શન આપવામાં આવ્યા નથી. હાલમાં અમે સંપૂર્ણપણે બોરવેલના પાણી પર નિર્ભર છીએ. ઉનાળો આવતા જ પાણીના સ્તર નીચે જાય છે અને પરિસ્થિતિ વધુ વણસે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, દર વર્ષે ઉનાળામાં પાણીની અછત સર્જાતા રાજકોટ મહાનગરપાલિકા (RMC) અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વોટર ટેન્કર મોકલવામાં આવે છે, પરંતુ આ કોઈ કાયમી ઉકેલ નથી. રાજકોટના કોર્પોરેશન વિસ્તારમાં અને શહેરની મધ્યમાં હોવા છતાં આ સુવિધાથી વંચિત રાખવામાં આવતા રહીશોમાં અન્યાયની લાગણી પ્રસરી છે. ત્યારે તંત્ર દ્વારા આ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને તેમને કાયમી ધોરણે નળ કનેક્શન આપી પાણીની સમસ્યાનો અંત લાવવામાં આવે તેવી માંગ તેમણે કરી છે. ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાના વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે પ્રી-મોન્સૂન અને ઉનાળાની આયોજનલક્ષી બેઠકો યોજવામાં આવે છે, પરંતુ તેનું અમલીકરણ ક્યાંય દેખાતું નથી. આજી - ન્યારી ડેમમાં પાણી હોવા છતાં છેવાડાના માનવી સુધી તે ન પહોંચે તે વહીવટી ઘોર નિષ્ફળતા છે. શહેરનાં ઝડપી વિસ્તરણ સામે મનપાનું એન્જિનિયરિંગ વિભાગ પામર સાબિત થયું હોય તેમ જણાય છે. અહીં બહુમાળી ભવનોને મંજૂરી આપી દેવામાં આવે છે, પરંતુ ત્યાં પાણી ક્યાંથી આવશે તેનું કોઈ નક્કર આયોજન હોતું નથી. પરિણામે, બિલ્ડરો દ્વારા કરવામાં આવેલા બોર થોડા જ સમયમાં ડુકી જાય છે અને અંતે સામાન્ય નાગરિકોને હેરાન થવાનો વારો આવે છે. વધતા જતા ઉનાળાની સાથે ટેન્કરની માંગમાં હજુ 20% થી 30% સુધીનો વધારો થવાની શક્યતા છે. જો વરસાદ મોડો પડશે તો રાજકોટમાં જળ કટોકટી સર્જાશે તે નક્કી છે. ત્યારે હવે સમય પાકી ગયો છે કે મહાનગરપાલિકા દ્વારા માત્ર કાગળ પરની યોજનાઓ બતાવવાને બદલે દરેક સોસાયટી-ફ્લેટ સુધી પાઈપલાઈન પહોંચાડવી જોઈએ.
અમદાવાદના વૃદ્ધ મહિલાને અજાણ્યા શખ્સે વિડીયો કોલ કરીને પોલીસના કપડા પહેરી દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપી હતી. વૃદ્ધાને મની લોન્ડરિંગ કેસમાં તેમનું બેન્ક એકાઉન્ટ વપરાયું હોવાનું કહીને કેસમાંથી બચવા કોર્ટ ફી ભરવા જણાવ્યું હતું. એટલું જ નહીં ગઠિયાઓએ વૃદ્ધાના દીકરાઓને શૂટ કરી દેવાની પણ ધમકી આપી હતી. વૃદ્ધાએ ડરીને 5.31 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યાં હતા છતાં વધુ પૈસાની માંગણી કરતા વૃદ્ધાના દીકરાને જાણ થઈ હતી. જેથી વૃદ્ધાએ આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. મની લોન્ડરિંગના કેસથી બચવા ફીની માંગ કરીવાડજ વિસ્તારમાં 76 વર્ષીય વૃદ્ધ મહિલા એકલા રહે છે. 15 માર્ચના રોજ મહિલાને વોટ્સએપ પર વિડીયો કોલ આવ્યો હતો. જેમાં સામેવાળા વ્યક્તિએ પોલીસની વર્ધી પહેરી હતી. આ વ્યક્તિએ પોતાની ઓળખ મોહિત ગુપ્તા તરીકે અને દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી તરીકેની આપી હતી. જે બાદ મહિલાને જણાવ્યું હતું કે તેમના આધાર કાર્ડથી ખોટું બેન્ક એકાઉન્ટ ખોલાવી બેન્ક એકાઉન્ટ મની લોન્ડરિંગ કેસમાં વપરાયું છે. અત્યારે આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને આ કેસમાંથી બચવા તેમણે કોર્ટની ફી ભરવી પડશે. ગઠિયાએ વૃદ્ધા પાસેથી બેંકની વિગત અને તેમની પાસે રહેલા દાગીના અને સંપત્તિની વિગત મેળવી હતી. વૃદ્ધાએ ગઠીયાને 5.31 લાખ ટ્રાંસફર કર્યાંગઠિયાએ વૃદ્ધાને કેસમાંથી બચવા માટે કોર્ટની ફી ભરવાનું કહેતા વૃદ્ધા બેંકમાં ગયા હતા અને 5.31 લાખ રૂપિયાની રકમ ગઠીયાએ આપેલા બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ કહ્યું હતું કે તમારો કેસ કોર્ટમાં ચાલે છે. તો બીજા પૈસા જમા કરો અને તમારા ઘરેણા વેચીને પણ પૈસા જમા કરો. વૃદ્ધાને ડરાવવા માટે IBનો નકલી લેટર અને સુપ્રીમ કોર્ટનો પણ નકલી લેટર મોકલ્યો હતો. વૃદ્ધાને સતત વિડીયો કોલ કરતો હતો અને બીજા પૈસા મંગાવતો હતો. આ દરમિયાન વૃદ્ધાનો દીકરો ઘરે આવ્યો ત્યારે તેણે વૃદ્ધાના ફોનમાં તપાસ કરી ત્યારે ફ્રોડ થાય છે જાણ થઈ હતી. વૃદ્ધાએ આ અંગે સાયબર ક્રાઈમમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આગામી ૨૬મી તારીખે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, વેરાવળના પ્રભાસ પાટણમાં પોલીસ વિભાગ દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. વારણકાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. ટ્રાફિક નિયંત્રણ કાર્યક્રમના ભાગરૂપે, પ્રભાસ પાટણના ભીડભાડવાળા અને ટ્રાફિકવાળા વિસ્તારોમાં આ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર, બે પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો હાજર રહ્યા હતા. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય નગરજનોને શાંતિ અને સુરક્ષાનો સંદેશ આપવાનો હતો. આ ઉપરાંત, શહેરના મુખ્ય ચોક પર ચેકિંગ ડ્રાઈવ યોજીને આચારસંહિતાનો ભંગ થતો અટકાવવા માટે પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા.
આંબેડકર જન્મજયંતી રીલ્સ પર અપમાનજનક ટિપ્પણી:સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણીની રીલ્સ પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ એક યુવક સામે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજુલા પોલીસ સ્ટેશનમાં વિવેકભાઈ પ્રવીણભાઈ બાબરીયાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, koli_vinay_8932 નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી ડૉ. આંબેડકર વિશે અશ્લીલ અને અપમાનજનક કોમેન્ટ કરવામાં આવી હતી. આ ઘટના 14 એપ્રિલ, 2024 ના રોજ રાજુલા શહેરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી રેલી અને ઉજવણી સાથે સંબંધિત છે. આ પ્રસંગે આંબેડકર સર્કલ ખાતે પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યો હતો. વિવેકભાઈએ આ ઉજવણીનો વીડિયો બનાવી પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી વિવેક 26 પર રીલ્સ રૂપે અપલોડ કર્યો હતો. આરોપી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓથી અનુસૂચિત જાતિના લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે. સમગ્ર જિલ્લામાં આંબેડકર જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હોવા છતાં આવી ટિપ્પણીઓથી દલિત સમાજમાં નારાજગી વ્યાપી છે. રાજુલા પોલીસે ફરિયાદ નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં અને લીંચમાં ભવ્ય ચૂંટણી સભાઓ ગજવીને ભાજપના પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી. મહેસાણામાં આયોજિત 'વિકાસ સંકલ્પ સભા'માં મુખ્યમંત્રીએ ભાજપના બિનહરીફ વિજેતા થયેલા ઉમેદવારોનું વિશેષ સન્માન કર્યું હતું. આ તકે તેમણે વિરોધ પક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આ વખતે એવી રીતે વિજય અપાવો કે બીજી વખત વિપક્ષને ફોર્મ ભરવાનો વિચાર પણ ન આવે. 85 બેઠક બિનહરીફ થતા આનંદ વ્યક્ત કર્યોચૂંટણીના આંકડાકીય સમીકરણો પર નજર કરીએ તો મહેસાણા જિલ્લામાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયતો અને 5 નગરપાલિકાઓની કુલ 467 બેઠકમાંથી 85 બેઠક બિનહરીફ થઈ છે. આ સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ ખાસ કરીને કડી અને ઊંઝા નગરપાલિકામાં ભાજપે બહુમતી સાથે સત્તા મેળવી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે સમગ્ર રાજ્યમાં 600થી વધુ ઉમેદવારો બિનહરીફ થયા છે, જે જનતાનો ભાજપ પ્રત્યેનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે. જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો બિનહરીફ ચૂંટાય ત્યારે વિપક્ષ દ્વારા કરવામાં આવતા બળજબરીના આક્ષેપો પાયાવિહોણા સાબિત થાય છે. મહેસાણાની કાયાપલટ થશે:ભૂપેન્દ્ર પટેલવિકાસના મુદ્દે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર વિકાસના કામો માટે હંમેશા તૈયાર છે અને બજેટમાં કરવામાં આવેલા ધરખમ વધારાને કારણે વિકાસકામોએ હરણફાળ ભરી છે. મહેસાણા હવે મહાનગરપાલિકા બનતા શહેરની કાયાપલટ થઈ જશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. સભામાં મુખ્યમંત્રીની હાજરીથી કાર્યકરો અને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમણે દરેક બેઠક પર ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું હતું.
શહેરના વિવિધ વિસ્તારોમાં જેનો ખોફ હતો અને જેના પર ખંડણી, મારામારી તેમજ ખૂની હુમલા જેવા ગંભીર 27થી વધુ ગુનાઓ નોંધાયેલા છે, તેવો કુખ્યાત આરોપી ચિરાગ મેર આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. આરોપી ચિરાગ મેર સુરત પોલીસને થાપ આપીને ભાવનગર જિલ્લામાં છુપાયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, તે ધરપકડથી બચવા માટે ભારત છોડી વિદેશ ભાગી જવાની પૂરજોશમાં તૈયારી કરી રહ્યો હતો. ભૂતકાળમાં ગુજસીટોક જેવા કડક કાયદા હેઠળ જેલની હવા ખાઈ આવેલા આ શખ્સે જામીન પર છૂટ્યા બાદ ફરીથી ગુનાખોરીનો માર્ગ અપનાવ્યો હતો. પરંતુ સુરત ઝોન-07ની એલ.સી.બી. ટીમે તેની યોજના પર પાણી ફેરવી દીધું છે. સંયુક્ત ટીમનું ગુપ્ત ઓપરેશન સુરતના ડીસીપી ઝોન-07 હેઠળની એલ.સી.બી. ટીમ, પાલ પોલીસ અને ઈચ્છાપોર પોલીસની એક સંયુક્ત ટીમ બનાવવામાં આવી હતી. આરોપી ચિરાગ મેર ભાવનગર જિલ્લાના ખીજડીયા ગામની આજુબાજુ હોવાની ચોક્કસ બાતમી મળી હતી. પોલીસ ટીમે બે દિવસ સુધી ભાવનગરમાં ધામા નાખ્યા હતા. આરોપી સતત પોતાના લોકેશન બદલતો હોવાથી તેને ટ્રેસ કરવો મુશ્કેલ હતો, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે આખરે તેને ભાવનગરના પરવાળા ગામ તરફ જતા રોડ પરથી કોર્ડન કરી પકડી પાડવામાં આવ્યો હતો. મોર્ફ ફોટા બતાવી 15 લાખની ખંડણી માંગીએસીપી શ્વેતા ડેનિયલના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે 2 જાન્યુઆરીએ ફરિયાદી વૈભવ અજીત કુમાર દેસાઈ સાથે એક ગંભીર ઘટના બની હતી. ચિરાગ મેર અને તેના સાથીદારો જોય સાટિયા અને વિકી કુડાલાએ ફરિયાદીને તેમના મોર્ફ કરેલા (એડિટ કરેલા) ફોટા અન્ય સ્ત્રીઓ સાથે બતાવી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. આ ટોળકીએ ફરિયાદી પાસે 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને તે સમયે જ બળજબરીપૂર્વક 3 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે પાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસ એક્શનમાં આવી હતી. ગુજસીટોક હેઠળ જેલવાસ બાદ ફરી ગુનાખોરીઆરોપી ચિરાગ મેર કોઈ સામાન્ય ગુનેગાર નથી. તેની વિરુદ્ધ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક (GUJCTOC) હેઠળ પણ કાર્યવાહી થયેલી છે. આ ગુનામાં તે એક વર્ષ જેલમાં રહી ચૂક્યો છે. હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ તે ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય થઈ ગયો હતો. સુરતના પાલ, અડાજણ, ડીંડોલી અને વરાછા સહિતના અનેક પોલીસ સ્ટેશનોમાં તેની વિરુદ્ધ હત્યાની કોશિશ અને ખંડણીના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. 27 ગુનાનું લિસ્ટ અને પોલીસની કાર્યવાહીપોલીસના રેકોર્ડ મુજબ, ચિરાગ મેર વિરુદ્ધ ગુજરાત રાજ્યમાં અલગ-અલગ કુલ 27 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તેની ધરપકડ બાદ સુરત પોલીસમાં નોંધાયેલા અનેક વણઉકેલ્યા ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તેની પ્રોફાઈલ ખૂબ જ હિંસક છે અને તે માથાભારે તત્વોની ટોળકી ચલાવતો હતો. હાલમાં તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેથી તેની વિદેશ ભાગવાની યોજનામાં કોણ મદદ કરી રહ્યું હતું તે જાણી શકાય. ટેકનિકલ સર્વેલન્સની મહત્વની ભૂમિકાઆ ઓપરેશનમાં સુરત ઝોન-07 એલ.સી.બી. ટીમે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. આરોપી સતત લોકેશન બદલી રહ્યો હોવાથી પોલીસ માટે તે મોટો પડકાર હતો. પરંતુ 2 પીએસઆઈ અને એલસીબી સ્ટાફની મહેનતને કારણે આરોપીને ટ્રેસ કરી શકાયો હતો. પોલીસની આ સફળતાથી સુરતના વેપારીઓ અને સ્થાનિક લોકોમાં હાશકારો જોવા મળી રહ્યો છે, કારણ કે ચિરાગ મેર ખંડણી માટે જાણીતો હતો. કોણ આશરો આપ્યો તેની તપાસ તેજહાલ પાલ પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાની ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ એ પણ તપાસી રહી છે કે જામીન પર બહાર આવ્યા બાદ તેને કોણે આશરો આપ્યો હતો અને 15 લાખની ખંડણીના કેસમાં અન્ય કયા શખ્સો સંડોવાયેલા છે. એસીપી શ્વેતા ડેનિયલે સ્પષ્ટ કર્યું છે કે, આવા રીઢા ગુનેગારો વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.
જર્મનીની પ્રતિષ્ઠિત હોચશુલે વિસ્માર યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સિસ અને ગુજરાતની ચારુતર વિદ્યામંડળ (CVM) યુનિવર્સિટી વચ્ચે શૈક્ષણિક સહયોગ માટે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર ભારતીય વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય શિક્ષણના નવા દ્વાર ખોલશે. જર્મનીના બાલ્ટિક સમુદ્ર કિનારે આવેલી હોચશુલે વિસ્માર યુનિવર્સિટી 1908થી કાર્યરત છે. તે તેના વ્યવહારુ શિક્ષણ, એપ્લાઇડ રિસર્ચ અને ઉદ્યોગો સાથેના મજબૂત જોડાણ માટે વિશ્વભરમાં જાણીતી છે. ટેકનોલોજી, એન્જિનિયરિંગ, બિઝનેસ અને ડિઝાઇન જેવા વિષયોમાં નિષ્ણાત આ સંસ્થામાં હાલ આશરે 8000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી માધ્યમના ખાસ અભ્યાસક્રમો પણ ઉપલબ્ધ છે. આ શૈક્ષણિક આદાનપ્રદાનને વેગ આપતા, હોચશુલે વિસ્માર યુનિવર્સિટીએ ગત 14 એપ્રિલ 2026ના રોજ CVM યુનિવર્સિટી સાથે MoU પર હસ્તાક્ષર કર્યા. આ પ્રસંગે CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈ પટેલ, પ્રોવોસ્ટ પ્રોફેસર ડો. ઇન્દ્રજીત પટેલ, રજિસ્ટ્રાર પ્રોફેસર ડો. સંદીપ વાલિયા, આઇકયુએસી ડીન ડો. દર્શક દેસાઇ, ડીન રિસર્ચ ડો. અમિત ગણાત્રા અને ડેપ્યુટી રજિસ્ટ્રાર ડો. દ્રષ્ટિ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. આ MoUના ભાગરૂપે, બંને યુનિવર્સિટીઓ વચ્ચે 'સમર સ્કૂલ' પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને ટૂંકા ગાળા માટે જર્મની જઈ ત્યાંની સંસ્કૃતિ અને આધુનિક ટેકનોલોજીનો પ્રત્યક્ષ અનુભવ લેવાની અમૂલ્ય તક મળશે. વિદ્યાર્થીઓ જર્મન પ્રોફેસરો સાથે સીધો સંવાદ કરી શકશે અને આંતરરાષ્ટ્રીય સ્તરના વર્કશોપમાં ભાગ લઈ શકશે. આ નવા જોડાણનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવાનો અને બંને સંસ્થાઓ વચ્ચે સંશોધન તથા શૈક્ષણિક સંસાધનોની આપ-લે કરવાનો છે. આ અંગે CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈ પટેલે જણાવ્યું હતું કે, વૈશ્વિક જોડાણ થકી CVM યુનિવર્સિટી વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને વિવિધ ક્ષેત્રે એકેડેમિક્સ અને રિસર્ચ ક્ષેત્રે કટીબદ્ધ છે. આગામી સમયમાં આ MoU હેઠળ વધુમાં વધુ શૈક્ષણિક પ્રવૃત્તિ પર ભાર મુકાશે. વિસ્માર યુનિવર્સિટીમાંથી આવેલા ડીન ડો. ઇગ્નુ મૂલેરે જણાવ્યું હતું કે, CVM યુનિવર્સિટી સાથેના આ MoUને આગળ લઈ જઈ એક મજબૂત ભાગીદારી ઊભી કરવામાં આવશે તથા તમામ સાથ સહકાર આપવા માટે કટીબદ્ધતા દર્શાવી હતી. CVM યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર ડો. ઇન્દ્રજીત પટેલે જણાવ્યું હતું કે, વિસ્માર યુનિવર્સિટી સાથેના આ જોડાણથી CVMના વિદ્યાર્થીઓને જર્મન શિક્ષણ પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સ્તરની ઇન્ટર્નશિપની ઉત્તમ તકો પ્રાપ્ત થશે. આ બદલ CVM યુનિવર્સિટીના ગવર્નિંગ બોડીના સભ્યો તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા ચૂંટણીના ગરમાવ વચ્ચે ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહે પાર્ટીની આંતરિક સ્થિતિનો ચિતાર ખુલ્લેઆમ આપી દીધો. એક તરફ જિલ્લા ભાજપ પ્રમુખે કવિતાના માધ્યમથી અસંતુષ્ટોને સંદેશ આપ્યો તો બીજી તરફ અગ્રણીઓની સૂચક ગેરહાજરીએ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ ડૉ. સંજય પરમારે પોતાના સંબોધનમાં સીધી રાજકીય ટિપ્પણી કરતા ટાળતા, પરંતુ કવિતાના માધ્યમથી અસંતુષ્ટોને માર્મિક ટકોર કરી હતી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પંક્તિઓ યાદ કરતા તેમણે કહ્યું,સબ કુછ લગા હે દાવ પર, અબ રૂક નહીં સકતે... તૂટ સકતે હૈ મગર ઝૂક નહીં સકતે હૈ… આ પંક્તિઓ દ્વારા તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો કે હાલની પરિસ્થિતિમાં પાર્ટી માટે પાછું વળવાનું વિકલ્પ નથી અને આંતરિક મતભેદો છતાં સંગઠન મજબૂત રહેવું જરૂરી છે. માત્ર એટલું જ નહીં, તેમણે પોતાના ભાષણના અંતે વધુ એક કવિતા રજૂ કરીને અસંતુષ્ટોને સીધી ચેતવણી આપી કે, નથી કરવાનું અભિમાન કે મારા સિવાય કંઈ થાય નહીં... અહીં તો આખું આકાશ ઉભું છે ટેકા વિનાનું… આ પંક્તિઓ રાજકીય રીતે ઘણું કહી જાય છે. સંકેત સ્પષ્ટ હતો – પાર્ટી કોઈ એક વ્યક્તિ પર નિર્ભર નથી અને સંગઠનનું બળ વ્યક્તિગત અસંતોષથી ઊંચું છે. પરંતુ આ સમગ્ર કાર્યક્રમમાં સૌથી વધુ ચર્ચા જગાવનારી બાબત રહી અગ્રણીઓની ગેરહાજરી. પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને સાંસદ રાજેશ ચુડાસમા, આમંત્રિત કારોબારી સભ્ય ઝવેરીભાઈ ઠકરાર, પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ તેમજ પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ ચોટવા જેવા અગ્રણીઓ હાજર રહ્યા નહોતા. સાથે જ નગરપાલિકાના પૂર્વ નગરસેવકો અને વિવિધ સમાજના આગેવાનોની ગેરહાજરી પણ નોંધપાત્ર રહી હતી. આ ગેરહાજરીને માત્ર યોગાયોગ માનવી મુશ્કેલ બની રહી છે, કારણ કે અગાઉથી જ ટિકિટ વહેંચણીને લઈને ઉભેલા અસંતોષના માહોલમાં આ ઘટનાએ વધુ શંકાઓને જન્મ આપ્યો છે. રાજકીય વિશ્લેષકોના મતે, આ ગેરહાજરી માત્ર પ્રોટોકોલનો મુદ્દો નથી, પરંતુ પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક અસંતોષ અને ગોઠવણોની અસર તરીકે જોવામાં આવી રહી છે. ખાસ કરીને વિવિધ સમાજોમાંથી ઊઠેલા વિરોધના અવાજોને ધ્યાનમાં લઈએ તો આ કાર્યક્રમમાં ઉત્સાહ કરતાં સંકોચ વધુ જોવા મળ્યો. કાર્યક્રમમાં પ્રભારી ભાવનાબેન હિરપરા અને બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ માનસિંગ પરમારે કાર્યકરોને એકજૂટ રહેવાની અપીલ કરી હતી. તેમણે કાર્યકરોને “દેવ દુર્લભ” ગણાવી તેમની મહેનતથી જ જીત શક્ય હોવાનું જણાવ્યું હતું. પરંતુ હકીકત એ છે કે, મંચ પરથી એકતા અને સંકલ્પના સંદેશાઓ આપવામાં આવ્યા હોવા છતાં, મેદાનમાં અસંતોષના પડઘા સ્પષ્ટ સંભળાઈ રહ્યા છે. અંતમાં, મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહે ભાજપની ચૂંટણી તૈયારી કરતાં વધુ તેની આંતરિક પડકારોને ઉજાગર કર્યા છે. હવે જોવું રહ્યું કે કવિતામાં આપવામાં આવેલા સંદેશો અસંતુષ્ટોને મનાવવા પૂરતા સાબિત થાય છે કે નહીં.
શેખચલ્લી જેવા સપના જોતી કોંગ્રેસને વિકાસ દેખાતો નથી, માત્ર જૂઠા આક્ષેપોમાં કરે છે 26મી તારીખે ભાવનગરના તમામ 52 ઉમેદવારોને વિજયી બનાવી કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવા આહવાન ભાવનગર શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા વિકાસ સંકલ્પ સંમેલન યોજાયું હતું, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંમેલનમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેર ભાજપના આગેવાનો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરી ભાજપે જીતનો દાવો કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાવનગર મહાનગરપાલિકામાં સાતમી વખત જીત હાંસલ કરવા ભાજપે સંપૂર્ણ તાકાત લગાવી છે, આ વચ્ચે ઉમેદવારો અને કાર્યકર્તાઓનો વિશ્વાસ બુલંદ કરવા ભાવનગર ખાતે વિકાસ સંકલ્પ સંમેલન યોજાયું હતું, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીએ ઉમેદવારોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, સેવા અને સમર્પણના ભાવથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતમાં ભાજપના 700 જેટલા ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે, જે ભાજપ પર લોકોના વિશ્વાસને દર્શાવે છે.તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી વિકાસ અને સ્થિરતાનું પ્રતિક છે, જે ભાજપે ગુજરાતને આપ્યું છે. કાર્યકર્તાઓની મહેનતના કારણે કેન્દ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં એન.ડી.એ.ની સરકાર કાર્યરત છે. આકરા ઉકળાટમાં પણ કાર્યકર્તાઓ પ્રચારમાં જોડાયા છે, જે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.પ્રદેશ અધ્યક્ષે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાવનગર મનપાની તમામ 52 બેઠકો પર કમળ ખીલશે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ માત્ર જુઠાણું અને આરોપોની રાજનીતિ કરે છે. ભાવનગરમાં છેલ્લા 30 વર્ષથી સત્તા પર રહેલી ભાજપ આગામી સમયમાં પણ લોકોના આશીર્વાદથી સત્તા જાળવી રાખશે તેવી આશા વ્યક્ત કરી હતી, તેમણે ભાજપના વિકાસકાર્યો અને જનકલ્યાણની યોજનાઓને મતદારો સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી. ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આખા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના 10,000 કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીની આ સેવા સમર્પણના ભાવથી એ પ્રજાની વચ્ચે સેવા કરવા માટે 5 વર્ષનો મોકો આપે છે, કોંગ્રેસ પાસે આજે આખા રાજ્યમાં પૂરતા ઉમેદવારો નથી, કે અન્ય બીજી પાર્ટીઓ પાસે આટલા ઉમેદવાર 10 હજાર જેટલા ઉમેદવાર નથી, નથી ને નથી અને એમાંથી 700 જેટલા ઉમેદવારો મિત્રો બિનહરીફ થયા, સૌ પ્રથમવાર ઇતિહાસમાં, ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલી વખત ગુજરાતના ઇતિહાસમાં 700 જેટલા ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, કોંગ્રેસ- દરેક વખતે કોંગ્રેસને વિકાસ દેખાય નહીં. કોંગ્રેસ માત્ર જૂઠાણાં ફેલાવે, માત્ર જૂઠા આક્ષેપો કરે, માત્ર ભ્રષ્ટાચાર કરે. અને ગુજરાત હોય કે ગુજરાતીઓને માત્ર બદનામ કરવાનું કામ કરે. પોતે કેન્દ્રમાં હતા ત્યારે ગુજરાતને જે જબરો અન્યાય કર્યો છે, રમખાણો હોય તો કે ગુજરાતીઓ કરે, આતંકવાદ હોય તો ગુજરાતમાં આ બધી વસ્તુ થાય, ડ્રગ્સની હેરાફેરી હોય તો ગુજરાતમાં થાય.પણ આ બધું કરે છે કોણ? તમે ક્યારેય એમને કોસતા નથી. ડ્રગ્સ કોણ વેચે છે, આતંકવાદ કોણ ફેલાવે છે, ધમાલ કોણ કરે છે, કર્ફ્યુ કોણ કરે છે? આના માટે જવાબદાર માત્ર આપણી સામે બેઠેલા લોકો ખાલી ગુજરાતીઓ જ જવાબદાર છે ?કોંગ્રેસે અત્યાર સુધી માત્ર આક્ષેપો કર્યા છે અને અત્યારે એમના નેતાઓ માત્ર ને માત્ર ગુજરાતને બદનામ કરવાનું કામ, ગુજરાતનું જબરો અપમાન કરવાનું કામ કરતા હોય તો આ કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે, શેખચલ્લી જેવા સપનાઓ જોતી આ કોંગ્રેસ, એ કોંગ્રેસના નેતાઓ ભૂલી જાય કે આ ગુજરાતની જનતા ભોળી જરૂર છે, પણ ગુજરાતની જનતા શાણી છે, 30 વર્ષ સુધી તમને સત્તાથી દૂર રાખ્યા છે, આવનારા હજી 30 વર્ષ સુધી આ ગુજરાતની જનતા તમારો પંજો સત્તા સુધી નહીં પહોંચવા દે એવો મને ભરોસો છે મિત્રો, 26 મી તારીખે ભાવનગર શહેરની અંદર 50 એ 50 ઉમેદવારને, કોંગ્રેસના મિત્રોને જડબાતોડ જવાબ આપવાનો સમય છે મિત્રો.
અરવલ્લી જિલ્લામાં નકલી સાધુઓનો પર્દાફાશ થયો છે. જિલ્લા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ સાધુના વેશમાં ઠગાઈ કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી કુલ 9.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, SOG ટીમને મળેલી બાતમીના આધારે મોડાસા-ધનસુરા હાઈવે પર રહિયોલ ફાટક પાસે એક ક્રેટા ગાડીને રોકવામાં આવી હતી. ગાડીમાં બેઠેલા બે ઇસમોની પૂછપરછ કરતા તેઓ બનાસકાંઠાના ધનીયાવાડા ગામના શિકાનાથ ધનાનાથ અને રામનાથ સમજુનાથ હોવાનું સામે આવ્યું હતું. ગાડીની તલાશી લેતા તેમાંથી 1 લાખ રૂપિયા રોકડા, સોના-ચાંદીના દાગીના, જુદી જુદી કંપનીના પાંચ મોબાઈલ ફોન, ઘી અને ચાના પાઉચ મળી આવ્યા હતા. વધુ પૂછપરછમાં જાણવા મળ્યું કે આ આરોપીઓ ધનસુરાના કોલવડા ગામમાં એક ભાઈના ઘરે જઈને સાધુ તરીકેનો પરિચય આપી અંધશ્રદ્ધા અને ઘરના દુઃખ નિવારણની લાલચ આપતા હતા. આ રીતે તેમણે તે ભાઈ પાસેથી જુદા જુદા સમયે રોકડ રૂપિયા અને સોના-ચાંદીના દાગીના, જેમાં સોનાની ચેઈન, વીંટી, બુટ્ટીઓ, ચૂની, કડી, લકી, પાંચ મોબાઈલ ફોન અને ક્રેટા ગાડી સહિત કુલ 9.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ પડાવી લીધો હતો. SOG પીઆઈ પી.બી. ચૌધરી અને તેમની ટીમે ગણતરીના કલાકોમાં આ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમને વધુ કાર્યવાહી માટે ધનસુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ સાધુનો વેશ ધારણ કરીને ગામડે ગામડે ફરીને લોકોને ઘરના દુઃખ નિવારણની લાલચ આપી અંધશ્રદ્ધા ફેલાવીને લૂંટ ચલાવતા હતા.
પાટણ સ્પોર્ટસ સંકુલમાં સ્વિમિંગ પૂલ શરૂ:પ્રથમ દિવસે સવારની બેચમાં 300થી વધુ તરવૈયાઓએ ધુબાકા માર્યા
પાટણ જિલ્લાના સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે સ્વિમિંગ પૂલનો પ્રારંભ થયો છે. ઉનાળાની કારમી ગરમીમાં રાહત મેળવવા માટે 300થી વધુ તરવૈયાઓએ પ્રથમ દિવસે ધુબાકા માર્યા હતા. આ સ્વિમિંગ પૂલ ખાસ કરીને યુવા વર્ગ અને મહિલાઓને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યો છે. અહીં પુરુષો માટે સવારે ત્રણ અને સાંજે બે બેચ રાખવામાં આવી છે, જ્યારે મહિલાઓ માટે બપોરે એક બેચ નિર્ધારિત કરાઈ છે. રમતગમત સંકુલના સિનિયર કોચ કિરણ પટેલે જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે સવારની ત્રણ બેચમાં 100થી વધુ લોકો હાજર રહ્યા હતા. કુલ મળીને 300થી વધુ પુરુષો છે સ્વિમિંગ પૂલનો સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે. મહિલાઓ માટે સાંજે 4 વાગ્યે બેચ રાખવામાં આવી છે, જ્યારે પુરુષો માટે સાંજે 5 થી 7 વાગ્યા સુધીનો સમય નિર્ધારિત કરાયો છે.
વલસાડ જિલ્લા ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં સક્રિય બન્યું છે. પક્ષે 'એક વ્યક્તિ-એક પદ' અને 'એક પરિવાર-એક હોદ્દો'ના નિયમનો કડક અમલ શરૂ કર્યો છે. આ સાથે, પક્ષ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવનારા કાર્યકરો સામે કડક કાર્યવાહી કરવાની પણ તૈયારી દર્શાવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના નેતૃત્વ હેઠળ, આશરે 35 હોદ્દેદારોને સંગઠનના પદ પરથી તાત્કાલિક રાજીનામું આપવા સૂચના અપાઈ છે. આ હોદ્દેદારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. જિલ્લા ઉપપ્રમુખ સતીશભાઈ પટેલ પણ આ યાદીમાં સામેલ છે. ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે જ આ કાર્યવાહી અમલમાં મૂકવામાં આવી છે. પક્ષના સૂત્રો અનુસાર, પ્રદેશ ભાજપના નિર્દેશ મુજબ કોઈ પણ વ્યક્તિ એક સાથે સંગઠન અને સત્તાના બે હોદ્દા પર રહી શકશે નહીં. હેમંત કંસારાએ જણાવ્યું કે, પક્ષના નિયમો સૌ માટે સમાન છે. આ નિર્ણયથી સંગઠનમાં નવા કાર્યકરોને તક મળશે અને ચૂંટણીમાં નવી ઊર્જા ઉમેરાશે. આ ઉપરાંત, પક્ષ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવનારા કાર્યકરો સામે પણ ભાજપે કડક વલણ અપનાવ્યું છે. જિલ્લાના વિવિધ મંડળો પાસેથી આવા કાર્યકરોની યાદી મંગાવવામાં આવી રહી છે. ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડનારા કાર્યકરોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાની પક્ષે તૈયારી દર્શાવી છે. ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા દરમિયાન ભાજપમાંથી ટિકિટ માટે મોટી સંખ્યામાં દાવેદારો સામે આવ્યા હતા. ટિકિટ ન મળતાં કેટલાક કાર્યકરોએ બળવો કરીને સ્વતંત્ર રીતે અથવા અન્ય પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી, જેને પક્ષે ગંભીરતાથી લીધું છે. પક્ષના આ કડક વલણથી નાના અને પાયાના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે પક્ષમાં શિસ્ત જાળવવાનો સ્પષ્ટ સંદેશ પણ પહોંચાડવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં કુલ 266 બેઠકો માટે ભાજપના ઉમેદવારો મેદાનમાં છે. ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ હોવાથી રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આગામી દિવસોમાં પક્ષના આ નિર્ણયોની ચૂંટણી પર શું અસર થાય છે તે જોવું રસપ્રદ રહેશે.
વાપીના જજ હર્ષવદન વકીલને PhD પદવી:બાળકોના જાતીય શોષણ અને પોક્સો એક્ટ પર સંશોધન
વાપીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હર્ષવદન નરસિંહભાઈ વકીલે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાંથી કાયદા વિદ્યાશાખામાં પી.એચ.ડી. (PhD) ની પદવી પ્રાપ્ત કરી છે. તેમણે ભાવનગરની શેઠ એચ.જે. લો કોલેજના પ્રિન્સિપાલ ડો. જે.એ. પંડ્યાના માર્ગદર્શન હેઠળ પોતાનું સંશોધન કાર્ય પૂર્ણ કર્યું હતું. ડો. હર્ષવદન વકીલે 'બાળકોના અધિકારો અને બાળકોની જાતીય સતામણી અંગેની કાયદાકીય જોગવાઈઓ અને અદાલતોના ચુકાદાઓના પરિપ્રેક્ષ્યમાં એક વિશ્લેષણાત્મક અભ્યાસ' વિષય પર ગહન સંશોધન કર્યું છે. આ સંશોધનમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ સમાજમાં બાળકોનું થતું શોષણ અને કાયદાકીય જોગવાઈઓ છતાં તેમના અધિકારોના હનનને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યું છે. હાલમાં વાપી ખાતે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં જજ તરીકે કાર્યરત હોવાથી, તેમણે પોતાના ન્યાયિક કાર્યકાળ દરમિયાન ચલાવેલા કેસોના અનુભવો અને તેના તારણોને પણ આ સંશોધનમાં વણી લીધા છે. તેમણે પોક્સો એક્ટ-2012 અને નિયમો-2020 ઉપરાંત નાલસા (NALSA) ની યોજનાઓનો પણ વિસ્તૃત અભ્યાસ કર્યો છે. તેમના સંશોધનમાં બાળકોની સુરક્ષા માટે કેટલાક મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે. જેમાં શાળા-કોલેજોમાં બાળકોની સુરક્ષા માટે ખાસ નીતિઓ અને જાગૃતિ અભિયાન ચલાવવાની ભલામણ કરાઈ છે. વધુમાં, પીડિત બાળક પ્રત્યે માતા-પિતા, સમાજ, ડોક્ટર, પોલીસ અને ન્યાયતંત્રનો અભિગમ સંવેદનશીલ અને હુંફ આપનારો હોવો અનિવાર્ય હોવાનું જણાવાયું છે. કેસોમાં પોલીસ, મીડિયા અને સામાન્ય જનતાના વલણો વિશે પણ વિસ્તૃત વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શેઠ એચ.જે. લો કોલેજ ગુજરાતની એકમાત્ર એવી કોલેજ બની છે જ્યાંથી અત્યાર સુધીમાં 19 વિદ્યાર્થીઓએ કાયદાના વિવિધ વિષયો પર પી.એચ.ડી. પૂર્ણ કર્યું છે. ડો. હર્ષવદન વકીલની આ સિદ્ધિ બદલ ભાવનગર કેળવણી મંડળના ટ્રસ્ટીઓ, ન્યાયાધીશો, ધારાશાસ્ત્રીઓ અને સામાજિક આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી દરમિયાન અરજદારોને રૂબરૂ બોલાવી પોલીસની કામગીરીની ચકાસણી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કુલ 80 જેટલા અરજદારોને સાંભળવામાં આવ્યા છે. તાજેતરમાં, વડિયા પોલીસ સ્ટેશનમાં 15 જેટલા અરજદારોને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા. આ અરજદારો અસામાજિક પ્રવૃત્તિઓ, મહિલા અત્યાચાર, મિલકત સંબંધિત અને પારિવારિક સમસ્યાઓ જેવા વિવિધ મુદ્દાઓ સાથે સંકળાયેલા હતા. એસ.પી. ખરાતે પી.આઈ. અને પી.એસ.આઈ.ની હાજરીમાં અરજદારોને પૂછપરછ કરી હતી કે તેમને સ્થાનિક પોલીસની કામગીરીથી સંતોષ છે કે કેમ. તેમણે પોલીસ દ્વારા અરજદારોને મળેલી મદદ અને પોલીસ પ્રત્યેના તેમના પ્રતિભાવ અંગે પણ તપાસ હાથ ધરી હતી. જિલ્લા પોલીસ વડા દરેક પોલીસ સ્ટેશનની મુલાકાત દરમિયાન અરજદારોને સાંભળે છે. આ પ્રક્રિયા અંતર્ગત, તેમણે અત્યાર સુધીમાં પાંચ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી છે અને 80 જેટલા અરજદારોને રૂબરૂ બોલાવી પોલીસની કામગીરી અંગે માહિતી મેળવી છે.
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે જાહેરાત કરી હતી કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની કુલ 23 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. આગામી 26મી એપ્રિલે મતદાન યોજાશે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસ બાદની સ્થિતિ મુજબ, જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકો સામે 136 હરીફ ઉમેદવારો મેદાનમાં છે. આ પૈકી કંબોઈ જિલ્લા પંચાયત બેઠક બિનહરીફ જાહેર થઈ છે. તાલુકા પંચાયતોની વાત કરીએ તો, જિલ્લાની વિવિધ 240 બેઠકો માટે 614 હરીફ ઉમેદવારો ચૂંટણી લડશે. આમાંથી કુલ 9 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં ડીસા તાલુકાની મહાદેવિયા અને માલગઢ, વડગામ તાલુકાની મગરવાડા, દાંતા તાલુકાની રંગપુર અને દાંતા, તેમજ કાંકરેજ તાલુકાની બુકોલી, ખોડા, કંબોઈ-1 અને ઉંબરી-1 બેઠકોનો સમાવેશ થાય છે. ધાનેરા, ડીસા અને પાલનપુર એમ ત્રણ નગરપાલિકાઓની કુલ 116 બેઠકો સામે 256 હરીફ ઉમેદવારો મેદાનમાં છે. નગરપાલિકામાં પણ કુલ 13 બેઠકો બિનહરીફ થઈ છે, જેમાં ડીસા નગરપાલિકાના 9 વોર્ડ અને પાલનપુર નગરપાલિકાની 4 બેઠકોનો સમાવેશ થાય છે.
તમારા ઘરે આવતા LPG ગેસ સિલિન્ડરનો વજન અચૂક કરજો નહીં તો છેતરાઈ જશો, વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ શ્રીમય ફ્લેટની સામેના ખુલ્લા પ્લોટમાં ગેસના બોટલોમાં ગેરકાયદે રીફીલીંગ કરી ગેસની ચોરી કરતા બે ઇસમોને વડોદરા શહેર SOGએ રંગે હાથ ઝડપી પાડ્યા છે અને 1,31,657 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી પરિસ્થિતિને કારણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના પુરવઠા પર અસર થવાની શક્યતા વચ્ચે ગેસ બોટલોના સંગ્રહખોરી અને ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત SOG પીઆઇ બી.ડી. જીતીયાએ ટીમોને અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને ચેકિંગ માટે તૈનાત કરી હતી. આ દરમિયાન SOGની ટીમે ચોક્કસ બાતમીના આધારે અટલાદરામાં પ્રજાપિતા બ્રહ્મકુમારી સંસ્થાની પાછળ આવેલા ખુલ્લા પ્લોટમાં રેડ કરી હતી. રેઇડ દરમિયાન એક થ્રી-વ્હીલર ટેમ્પામાં બે ઇસમો ભારત ગેસ અને એચ.પી. ગેસના બોટલોને સામસામે રાખી વચ્ચે પાઇપ વડે ગેસ રીફીલીંગ કરતા ઝડપાયા હતા. પૂછપરછમાં ડ્રાઈવર વિશાલ મહેન્દ્રભાઈ થોરાટ અને હેલ્પર રાહુલ ભીમરાવ ગવરે રુદ્ર ગેસ એજન્સી સાથે સંકળાયેલા હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આરોપીઓ ગોડાઉનમાંથી ગ્રાહકોને ગેસ ડિલિવરી કરવા જતાં પહેલા ટેમ્પામાં રહેલા ખાલી બોટલોમાં સીલબંધ બોટલોમાંથી ગેસ ચોરીને ભરી લેતા હતા. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ તેઓ પોતાના આર્થિક લાભ માટે કરતા હતા તેમજ ઓછા ગેસ ભરેલા બોટલો ગ્રાહકોને આપી છેતરપીંડી કરતા હતા. આ પ્રવૃત્તિ દરમિયાન રહેણાંક વિસ્તારમાં હાઇટેન્શન લાઇનની નીચે જવલનશીલ પદાર્થ સાથે બેદરકારીપૂર્વક કામગીરી કરવામાં આવી રહી હતી, જે ગંભીર અકસ્માત સર્જી શકે તેવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ટેમ્પો, ગેસની બોટલો, મોબાઇલ ફોન, ડિજિટલ વજનકાંટો સહિત કુલ રૂપિયા 1,31,657 નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે ટેમ્પાના માલિક દીપક અમૃતભાઈ સરાણિયા ફરાર હોવાનું સામે આવ્યું છે. આ મામલે ગુનો નોંધીને આરોપીઓને વધુ તપાસ માટે અટલાદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
દાહોદ જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારી પત્રો ખેંચવાના અંતિમ દિવસ બાદ હવે ચૂંટણીનું સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું છે. જિલ્લા પંચાયતની કુલ 50 બેઠકો પૈકી એક બેઠક બિનહરીફ જાહેર થતા હવે 49 બેઠકો પર જંગ જામશે. અત્યાર સુધી દાહોદ જિલ્લા પંચાયત પર ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું. આ વખતે સત્તા ટકાવવી એ ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે, તો સામે પક્ષે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સત્તા પરિવર્તન માટે જોર લગાવી રહ્યા છે. આ ચૂંટણીમાં ત્રણેય મુખ્ય પક્ષો વચ્ચે ત્રિપાંખિયો મુકાબલો જોવા મળશે. જિલ્લા પંચાયતની 50 બેઠકો માટે વહીવટી તંત્ર પાસે કુલ 286 ઉમેદવારી પત્રો ભરાયા હતા. ફોર્મ ચકાસણી દરમિયાન ટેકનિકલ ખામીઓ અને અન્ય કારણોસર 110 ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા હતા. ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે 8 ઉમેદવારોએ મેદાન છોડ્યું હતું. આ પ્રક્રિયાના અંતે હવે 49 બેઠકો પર કુલ 168 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. આ વખતની ચૂંટણીમાં ‘પીપેરો’ બેઠક બિનહરીફ જાહેર થઈ છે, જે ભાજપના ફાળે ગઈ છે. બીજી તરફ, ‘ચમારીયા’ બેઠક પર માત્ર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જ મેદાનમાં હોવાથી ત્યાં સીધી ટક્કર જોવા મળશે. જિલ્લાની બાકીની 48 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. આમ આદમી પાર્ટીની સક્રિયતાને કારણે પરંપરાગત વોટ બેંકમાં ગાબડાં પડવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી, જે ચૂંટણીના પરિણામો પર અસર કરી શકે છે. છેલ્લા ટર્મમાં ભાજપે જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી સાથે શાસન કર્યું છે. ભાજપ પોતાના વિકાસકામો અને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓના જોરે ફરી સત્તા મેળવવા આત્મવિશ્વાસ ધરાવે છે. જ્યારે વિપક્ષી પક્ષો સ્થાનિક પ્રશ્નો, બેરોજગારી અને પાયાની સુવિધાઓના મુદ્દે શાસક પક્ષને ઘેરવાની રણનીતિ બનાવી રહ્યા છે. ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે અને ઉમેદવારોની યાદી ફાઈનલ થઈ ગઈ છે, ત્યારે ઉમેદવારોએ ગ્રામીણ વિસ્તારોમાં જનસંપર્ક અને પ્રચાર તેજ કર્યો છે. મતદારો ફરીથી જૂના શાસકો પર ભરોસો મૂકે છે કે પરિવર્તન લાવે છે, તે તો આવનારું પરિણામ જ કહેશે. દાહોદ જીલ્લા પંચાયતની 50 બેઠક મુજબ ઉમેદવારોની યાદી:-1-આંબાઉષાબેન સંજયભાઇ ડામોર - AAPસીતાબેન ઇલેશભાઇ નિનામા - INCચંપાબેન લાલુભાઇ ભાભોર - BJP2-અભલોડમનીષાબેન રમેશભાઇ પલાસ - BJPલીલાબેન નવલસિંહ ભાભોર - AAPરમીલાબેન લીંબાભાઇ ભુરીયા - INC3-આગાવાડાકબુબેન ભરતભાઇ બારીયા - INCસુમિત્રાબેન ચિરાગભાઈ અમલીયાર - AAPકૈલાશબેન અર્જુનભાઈ પરમાર - BJP4-બારારાધાબેન ભૂપેન્દ્રસિંહ ચૌહાણ - BJPરવિનાબેન મેહુલકુમાર પટેલ - AAPહંસાબેન શૈલેશભાઇ પટેલ - INC5-બાવકાકમલેશભાઈ નાનજીભાઈ જાદવ - INCપુનમચંદ રામસિંહભાઈ બામણીયા - AAPકાજલબેન નરેશભાઈ ડામોર - BJP6- ભેનિલમસિંહ માનસિંહ બારીઆ - INCરમણભાઇ અબજીભાઇ બારીઆ – AAPલલીતસિંહ ચેનસિંહ બારીઆ – BJPનિતેશકુમાર અભેસિંહભાઇ ૫રમાર – BAP7-ભોરવાનિલમબેન સુનીલભાઇ પટેલ - AAPનિર્મળાબેન ચેતનભાઇ પટેલ - BJPઉષાબેન મંગાભાઇ તડવી - INC8-ચૈડીયામહેશભાઈ રતનસીંગ તડવી - BJPસોમલીબેન શૈલેષભાઇ કટારા - AAPબાબુભાઇ વિરસિંગભાઇ બીલવાળ - INC9-ચાકલીયાકપીલાબેન મહેશભાઇ મછાર - INCપારીબેન ભરતભાઇ નીસરતા - BAPસીતાબેન સુરેશભાઇ સંગાડા - AAPરાજુલાબેન કાળુભાઇ નીસરતા - BJP10-ચમારીયાનયનાબેન મુકેશભાઇ રાઠોડ - INCકાન્તાબેન જશુભાઇ બામણિયા - BJP11-ચીલાકોટાકસનીબેન ભારતસિંહ તડવી - AAPરેખાબેન ખુમાનસિંહ નિનામા - BJPશકુન્તલાબેન પારસિંહ તડવી - INC12-ધાવડીયાસુમનબેન મુકેશભાઈ ડામોર - BJPમહિમાબેન ચંદુભાઈ ભાભોર - AAPકુસુમબેન નિલેશભાઈ નિનામા - BAPપાયલબેન સમુએલભાઈ ભાભોર - INC13-દુધીયાકેસમબેન દિનેસભાઇ ડામોર - BJPફતીબેન રમણભાઈ ડામોર - INCલીલાબેન વિજયભાઈ ડાંગી - AAP14-ગલાલીયાવાડગૌરીબેન વિજયભાઈ પરમાર - BJPપુંજાબેન ગોવિંદભાઈ ભુરિયા - AAPસુરપાળીબેન ઉદેસીંગભાઈ ભાભોર - INCપ્રિયંકાબેન ભાર્ગવકુમાર ડામોર - BAP15-ગરબાડાઇન્દુદેવી કિશોરસિંહ પરમાર - INCલીલાબેન મહેન્દ્રસિંહ રાઠોડ - BJPરાઘિકાબેન રાહુલભાઇ ડામોર - AAP16-ઘુઘસવનિતાબેન પ્રતાપભાઇ પારગી - BJPમંજુલાબેન ભરતભાઇ પારગી - INCઆશાબેન જગદીશભાઇ પારગી - AAPરમીલાબેન સુરેશભાઇ પારગી - BAP17-ગુણારેણુકાબેન યોગેશકુમાર કોળી - AAPરોશનીબેન ઘર્મેન્દ્રભાઇ પટેલ - BJPસુશીલાબેન મહેન્દ્રસિંહ ચૌહાણ - INC18-હિરોલારાજેન્દ્રસિંહ કાળુભાઇ બારીઆ - AAPવનિતબેન ભુરકાભાઇ સંગાડા - INCભુપેન્દ્રભાઇ કાળુભાઇ સંગાડા - BJP19-જાલતપ્રકાશભાઈ ખીમાભાઈ ભુરીયા - BAPસુનીલભાઈ બાબુભાઈ માવી - BJPપંકજભાઈ કિર્તનભાઈ ખરાડીયા - AAPસુરમલભાઈ રણીયાભાઈ પણદા - INC20-કદવાલરેખાબેન મુકેશભાઈ પરમાર - BJPમનીષાબેન સતિષકુમાર ડામોર - AAPતેજલબેન જગુભાઈ સંગાડા - INC21-કાળીડુંગરીઇશ્વરભાઈ પ્રતાપભાઇ વાખળા - INCઅમરસિંહ રાયસિંહ પટેલ - BJPજુવાનસિંહ કાનજીભાઇ બારીઆ - AAPવિજયસિંહ મોહનસિંહ બારીઆ - IND22-ખલતાગરબડીમીરાબેન રમેશભાઇ પરમાર - BJPસુરેશભાઇ ગુલાભાઇ ભુરીયા - INDભરતભાઇ સોમાભાઇ ડામોર - AAPટિવકલબેન મહેશભાઇ પસાયા - INC23-ખંગેલાસંગીતાબેન જયેન્દ્રભાઇ બામણ - AAPહિના હાર્દિકકુમાર બામણ - INCસોનલબેન કૈલાસચંદ્ર નાયક - BJP24-ખરોડકમાબેન શૈલેષભાઈ નિનામા - INCલીલાબેન સચીનકુમાર નિનામા - AAPઅરવિંદાબેન મતાભાઈ કિશોરી - BJP25-ખરોદાસુમીત્રાબેન કમલસિંગ સંગાડા - AAPદિપીકાબેન સંદીપભાઈ મેડા - BJPનવલીબેન હીરાભાઈ સોઈડા - INC26-લીમડીપ્રતાપભાઈ ભુરાભાઈ નિનામા - AAPભાવસિંગભાઇ દલાભાઇ પારગી - INCમનિષાબેન અનિલભાઇ ભુરીયા - BJPકલ્પેશભાઇ ગવજીભાઇ ભાભોર - BAP27-મારગાળાગીતાબેન નરેન્દ્રભાઇ ડામોર - BJPમહેશભાઇ દીતાભાઇ મછાર - INCરાજુભાઇ રસુલભાઇ પારગી - AAP28-મેથાણરમણભાઈ મતાભાઈ સંગાડા - BAPનિર્મલકુમાર દલુભાઈ કિશોરી - AAPનીવેશકુમાર દલસિંહ તાવિયાડ - BJP29-મોટી બાંડીબારઆશાબેન દશરથભાઈ ડાયરા - AAPસંગીતાબેન અશ્વિનકુમાર પટેલ - BJPલલીતાબેન દશરથભાઇ પટેલ - INC30-મોટીખરજક્રીષ્નાભાઇ દેવેન્દ્રભાઇ ચારેલ - AAPસામાબેન હિમરાજભાઈ પલાસ - INCરિંકુબેન રાકેશભાઈ ભાભોર - BJP31-મોટીરેલપુર્વઅનિલકુમાર ચીમનભાઇ બારીઆ - AAPરમેશભાઇ ખાતુભાઇ ડામોર - BJPનરેન્દ્રભાઇ જાલાભાઇ કટારા - INCઅલ્કેશભાઇ મડીયાભાઇ પારગી - IND32-નઢેલાવઘુળાભાઇ દિતાભાઇ ભાભોર - BSPશૈલેષભાઇ નારૂભાઇ ભાભોર - AAPચંન્દ્રભાણસિંહ મનસુખભાઇ કટારા - INCરવિનાબેન શૈલેષભાઇ ભાભોર - BJP33-નવાનગરદિનેશભાઇ વેસ્તાભાઇ બારીઆ - BJPમોહનસિંહ ભારતાભાઇ ભૂરિયા - AAPપંકજકુમાર કાળાભાઇ મિનામા - INC34-નિંદકાપુર્વઅર્જુનકુમાર રાવજીભાઇ માલીવાડ - AAPગગલભાઇ વારજીભાઇ ડામોર - INCસોનલબેન રાજેન્દ્રભાઇ મછાર - BJP35-પાવડીપ્રતીક્ષાબેન સુરેશભાઇ પલાસ - AAPપ્રુથ્વીરાજ કનુભાઇ ડામોર - INCજોરસીંગભાઇ ચેતનભાઈ માવી - BJP36-પેથાપુરશર્માબેન લાલુભાઈ ડામોર - AAPસપનાબેન બિપિનભાઇ કિશોરી - INCમંજુલાબેન નિલેશભાઇ હોંડા - BJPકડવીબેન વરસીંગભાઇ મુનિયા - BAP37-પિપેરોભારતસિંહ પ્રતાપભાઇ વાખળા - BJP- (બિનહરીફ)38-પીપલોદસજજનબેન વિજયકુમાર કટારા - BJPઘોળીબેન પ્રતાપસિંહ રાઠવા - AAPરમીલાબેન બાબુભાઇ પરમાર - INC39-રઈભારતભાઈ ફુલાભાઈ કેવડીયા - BJPસવજીભાઈ ફુલાભાઈ કેવડીયા - AAPશતીષભાઈ કનુભાઈ રાઠોડ - INC40-રુવાબારીચિરાગકુમાર અર્જુનસિંહ પટેલ - BJPનટવરસિંહ બચુભાઇ પટેલ - AAPસુશીલાબેન કાંતિભાઇ પુજારા - INC41-સાગડાપાડાનંદાબેન રમેશભાઈ કટારા - BJPમીનાક્ષીબેન કિરણભાઇ ડોડિયાર - INCભારતીબેન રામસિંગભાઇ ભાભોર - AAP42-સજોઈસુનિતાબેન શાન્તિલાલ પસાયા - INCવર્ષાબેન કમલેશભાઇ બિલવલ - AAPગમાબેન અભેસિંગભાઇ મોહનીયા - BJP43-સલરાશાંતાબેન મુકેશભાઇ પારગી - BJPપ્રભાબેન જયંતિભાઈ બરજોડ - INCજિજ્ઞાસા ગૌતમભાઇ પારગી - AAPપ્રિયંકાબેન વિક્રમભાઇ પારગી - BAP44-સેવિનયાકીરીટભાઇ સર્જનસિંહ રાઠવા - BJPઇશ્વરભાઇ પ્રતાપભાઇ વાખળા - INCદમયંતીબેન જશુભાઇ પટેલ - AAPરણજીતકુમાર બળવંતભાઇ બારીઆ - IND45-સીમલીયાઅનીલાબેન સુનીલભાઈ હઠીલા - BJPઅલ્પેશકુમાર વાલસિંહભાઈ હઠીલા - AAPકપુરભાઇ મનાભાઇ કિશોરી - INCરમેશભાઇ કાળુભાઇ કિશોરી - IND46-સુડીયાબારીઆ ઉષાબેન તાજસીંગભાઈ - AAPમિનષાબેન કુંજરાજભાઈ ભાભોર - BAPબારીઆ ભુરીબેન રાજસિંહ - BJPપ્રતિક્ષાબેન પ્રિન્સકુમાર નિસરતા - INC47-ઉચવાણીયારમણભાઇ ખીમાભાઇ ભાભોર - BJPબીન્દેશભાઈ મગનભાઈ ગુંડીયા - INCકાળીયાભાઈ દલાભાઈ રોજ - AAPઅર્જુનભાઈ બાબુભાઈ મેડા - BAP48-વગેલામુકેશભાઈ સુકલાભાઈ ખડીયા - AAPબાબુભાઈ હરસિંગભાઈ નિસરતા - INCહવસિંગભાઈ કાળિયાભાઈ ભુરિયા - INDજયદીપસિંહ ભાવસિંહ વાઘેલા - BJPજીજ્ઞેશભાઈ સુભાષભાઈ ડામોર - BAP49-વાલાગોટાઆરતસિંહ રતનાભાઈ બારીઆ - AAPઅરવિંદકુમાર બુધાભાઈ પટેલ - BJPભાવિકાબેન ભીમસિંહ ડામોર - BAPવિજયભાઈ દિપસીંગભાઈ બારીઆ - INC50-ઝરીબુઝર્ગઅજીતભાઈ મકનાભાઇ અમલીયાર - AAPકમલેશભાઈ દીતાભાઇ માવી - INDભૈરૂસિંહ છગનભાઇ બારીયા - INCવિજયસિંહ ભારતસિંહ અમલીયાર - BJP
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોએ મતદારોને આકર્ષવા માટે ઘરે-ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે. 5 વર્ષમાં વિકાસના કામ ન થતા હવે મતદારો જન પ્રતિનિધિઓનો વિરોધ કરી રહ્યા છે. 15 એપ્રિલની રાત્રે વાસણા અને લાંભા વોર્ડમાં પૂર્વ કોર્પોરેટર ચૂંટણી પ્રચાર માટે ગયા હતાં, જ્યાં સ્થાનિકોએ તેઓને ઘેરી લીધા હતા. સમસ્યાઓને લઈને સ્થાનિકોએ નેતાઓનો ઉધડો લેતા પ્રચાર અધુરો મૂકી ભાગવું પડ્યું હતું. વાસણામાં કોર્પોરેટરને પાણી-ગટરના પ્રશ્નો જણાવ્યાંવાસણા વોર્ડમાં ભાજપે પૂર્વ કોર્પોરેટર મેહુલ શાહને ફરી ટિકિટ આપી છે, ત્યારે ગઈકાલે રાત્રે વાસણાના ગુપ્તાનગરમાં મેહુલ શાહ પ્રચાર માટે પહોંચ્યા હતા. આ સમયે સ્થાનિકોએ તેમને ઘેરી લીધા હતા અને સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. લોકોનો કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કોઈપણ કોર્પોરેટર તેમની સમસ્યાઓ સાંભળવા આવ્યા નથી. પાણીની અછત અને પ્રદૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. દોઢ મહિનાથી ગટરનું પાણી આવે છે, જેની રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. પહેલાં પ્રશ્નો ગણ્યાં, પછી ચાલતી પકડીએક યુવક વિસ્તારના પ્રશ્નો જણાવી રહ્યો હતો, ત્યારે મેહુલ શાહે અકડ સાથે કહ્યું કે, શાંતિથી બોલ મને સંભળાય છે. બાદમાં પ્રશ્નો સાંભણીને 1...2...3... એમ પ્રશ્નો ગણવા લાગ્યા હતાં. સાથે જ વીડિયો ઉતારવાને લઈને પણ વાંધો ઉઠાવ્યો હતો. લોકોએ જ્યારે એક થઈને કહ્યું કે, વર્ષોથી કોઈ આવતું નથી અને આજે જ કેમ આવ્યાં? ત્યારે મેહુલ શાહે લોકોમાં સાંભળવાની તાકાત ન હોવાનું કહી પ્રચાર અધૂરો મુકીને સ્થળે ચાલતી પકડી હતી. કોઈ ફોન પણ ઉપાડતું નથી, સ્થાનિકોનો આક્ષેપલાંભા વોર્ડમાં પૂર્વ કોર્પોરેટર કાળુ ભરવાડે ફરી ઉમેદવારી નોંધાવી છે. ગઇકાલે રાત્રે સમર્થકો સાથે હિના પાર્ક વિસ્તારમાં ગયેલા કાળુ ભરવાડ પણ લોકોના રોષનો ભોગ બન્યા હતા. સ્થાનિકોએ ઉમેદવારનો વિરોધ કરી પાણીની સમસ્યા દૂર કરવા માટે રજૂઆત કરી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે, ફોન કરીએ તો કોઈ ફોન ઉપાડતું નથી. પીવાનું પાણી પણ આવતું અને કોઈ ટેન્કર પણ મોકલી આપતું નથી. મોટી સંખ્યામાં લોકોએ રોષે ભરાઈને વિરોધ કરતા ઉમેદવારને પ્રચાર અધૂરો મૂકીને જતા રહેવું પડ્યું હતું.
ગોધરા નગરપાલિકાની આગામી ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ગોધરા નગરપાલિકાના વિવિધ વોર્ડમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત વિધિવત રીતે ચૂંટણી કાર્યાલયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીના હસ્તે શહેરના 6 જેટલા મહત્વના વોર્ડના મધ્યસ્થ કાર્યાલયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભાજપે આગામી ચૂંટણીનો જંગ જીતવા માટે સઘન પ્રયાસો શરૂ કરી દીધા છે. ઉદ્ઘાટન કરાયેલા કાર્યાલયોમાં વોર્ડ નંબર 5માં ગેલ ભવાની માતાજી મંદિર અને રણછોડરાય મંદિર પાસે, વોર્ડ નંબર 1 અને 2માં ખાડી ફળિયા અને લુણાવાડા રોડ સ્થિત ઓશિયા મોલ ખાતેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વોર્ડ નંબર 3માં ભુરાવાવ વિસ્તારના શ્રીજી કોમ્પ્લેક્સ ખાતે પણ કાર્યાલય ખુલ્લું મુકાયું. વધુમાં, વોર્ડ નંબર 11 અને 10 માટે બામરોલી રોડ પર ક્રિષ્ના કોમ્પ્લેક્સ અને સત્યમ સોસાયટી પાસે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ શુભારંભ સમારોહમાં ધારાસભ્ય સી.કે. રાઉલજી, સંગઠનના હોદ્દેદારો, વિવિધ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ઉત્સાહી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આગામી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા માટે મજબૂત રણનીતિ અને જનસંપર્ક પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ધારાસભ્ય રાઉલજીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસના મુદ્દે લોકોની વચ્ચે રહી છે. આ કાર્યાલયોના માધ્યમથી અમે જન-જન સુધી પહોંચીશું અને ફરી એકવાર લોકોના વિશ્વાસ સાથે વિજય મેળવીશું. આ કાર્યાલયોના પ્રારંભ સાથે જ હવે ગોધરા નગરપાલિકા વિસ્તારમાં ભાજપ દ્વારા ડોર-ટુ-ડોર પ્રચાર અને લોકસંપર્કની કામગીરી વધુ વેગવંતી બનશે. આ પ્રસંગે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને જીત ના સંકલ્પ સાથે ચૂંટણી પ્રચારના મંગલાચરણ કરવામાં આવ્યા હતા.
ચંદ્રુમાણા સ્થિત શ્રી ગૌરી માતાજી દેવસ્થાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક મંદિરે યોજાઈ હતી. પ્રમુખ ચેતનભાઈ વ્યાસના અધ્યક્ષસ્થાને આ બેઠક પાટોત્સવની તૈયારીઓ અને વિવિધ જવાબદારીઓ નક્કી કરવા માટે મળી હતી. આ પ્રસંગે બે મુખ્ય જાહેરાતો કરવામાં આવી હતી. સ્વર્ગસ્થ બબીબેન અને કુબેરભાઈના સ્મરણાર્થે તેમના પુત્રો હરેશભાઈ અને આશિષભાઈ પટેલ દ્વારા માતાજીને 125 કિલોનું ભવ્ય ઝુમ્મર ભેટ આપવામાં આવશે. આ જાહેરાતને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. આ ઉપરાંત, અમદાવાદના એક મહિલા શ્રદ્ધાળુ દ્વારા પૂજિત ધજા પાટોત્સવના દિવસે મંદિરના શિખર પર આરોહિત કરવામાં આવશે. આ ધજાને મહિલા શ્રદ્ધાળુએ પોતાના ઘરે પૂજામાં રાખી હતી. પ્રમુખ ચેતનભાઈએ મુખ્ય ગેટના ઉદ્ઘાટન તેમજ અન્ય ચાલુ અને ભવિષ્યમાં થનારા કાર્યો અંગે માહિતી આપી હતી. બેઠકમાં પાટોત્સવ દરમિયાન ભક્તો માટેની સુવિધાઓ પર વિશેષ ધ્યાન અપાયું હતું. પાટોત્સવ નિમિત્તે 300 જેટલા વાહનો માટે પાર્કિંગની સુવિધા, રસોડામાં ભોજન વ્યવસ્થા, પીવાના અને વપરાશના પાણીનો પુરવઠો, વીજળી સુવિધા, મંડપ વ્યવસ્થા અને સ્વાગત સુવિધા સહિતની વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. ગરમીને ધ્યાનમાં રાખીને 30 થી વધુ એરકુલર ગોઠવવામાં આવશે અને પાર્કિંગ માટે સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત કરાશે. પાટોત્સવના આગલા દિવસે રાસ ગરબાનું આયોજન કરવામાં આવશે. મંદિરને નવી ધજા ચડાવવાના સમયે વધુને વધુ લોકો જોડાય તે માટે પણ વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં ગત સભાની કાર્યવાહી વંચાણે લેવામાં આવી હતી અને વર્ષ 2025-26 ના હિસાબો રજૂ કરાયા હતા. અખાત્રીજે મંદિર દિશાનું મુહૂર્ત આવે તો ખેડૂતો અને પગપાળા સંઘો માટે ચા-નાસ્તા સહિતની વ્યવસ્થા કરવાના સૂચનો પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રમોદભાઈ વ્યાસ, ભાનુભાઈ વ્યાસ, જ્યોતીન્દ્રભાઈ વ્યાસ, લાલજીભાઈ પટેલ, સુરેશભાઈ વ્યાસ, લલીતભાઈ મડાણા ગઢ, દિલીપભાઈ ઈકબાલગઢ, કાનજીભાઈ સાકરા, સતિષભાઈ વ્યાસ, ભરતભાઈ વ્યાસ, નીતિનભાઈ વ્યાસ, રામજીભાઈ પટેલ, ચિંતનભાઈ વ્યાસ, વિનુભાઈ પટેલ, મહેશભાઈ શાસ્ત્રી, સુનિલભાઈ વ્યાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.
મહીસાગરમાં ભાજપના 3 ઉમેદવાર બિનહરીફ:જિલ્લા-તાલુકા પંચાયતની કુલ 175 બેઠક પર જંગ સ્પષ્ટ
મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થયું છે. જિલ્લા પંચાયતની 28 બેઠકો અને તાલુકા પંચાયતની 150 બેઠકો પર ચૂંટણી યોજાશે. આ પૈકી તાલુકા પંચાયતની ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. જિલ્લા પંચાયતની 28 બેઠકો પર કુલ 83 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. આમાં ભાજપ અને કોંગ્રેસના 28-28 ઉમેદવારો, આમ આદમી પાર્ટીના 19 ઉમેદવારો, અને અપક્ષ તથા અન્ય પક્ષોના 8 ઉમેદવારો મેદાનમાં છે. તાલુકા પંચાયતની કુલ 150 બેઠકોમાંથી ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે. કોઠંબા તાલુકાની જેથરી બોર બેઠક પર સુશીલાબેન ગીરવતભાઈ ડામોર, વિરપુર તાલુકાની ખેરોલી બેઠક પર જૈમીનીબેન શૈલેષભાઈ પટેલિયા અને કોયલા બેઠક પર એસ.બી. ખાંટ બિનહરીફ ચૂંટાયા છે. હવે બાકીની 147 તાલુકા પંચાયત બેઠકો પર ચૂંટણી યોજાશે, જેમાં કુલ 439 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે. આ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના 147-147 ઉમેદવારો, આમ આદમી પાર્ટીના 95 ઉમેદવારો, અને અન્ય તથા અપક્ષના 50 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ વચ્ચે ત્રિકોણીય નહીં પરંતુ ચોરસ જંગ જોવા મળશે.
અમેરિકા-ઈરાન હોર્મુઝને લઈને બાઝતા રહ્યા અને ચીને દરિયામાં કર્યો ખેલ, મોટા વિવાદના 'સંકેત'
South China Sea Dispute: જ્યારે આખું વિશ્વ મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ પર નજર રાખીને બેઠું છે, ત્યારે ચીને એશિયાના બીજા ખૂણે પોતાની રણનીતિક ચાલ રમી નાખી છે. સાઉથ ચાઇના સીમાં ચીને સ્કારબોરો શોલ પર કડક નિયંત્રણો લાદીને ફિલિપાઇન્સ અને અમેરિકાને ખુલ્લો પડકાર ફેંક્યો છે. સ્કારબોરો શોલ વિવાદનું નવું કેન્દ્ર સ્કારબોરો શોલએ માત્ર દરિયાઈ વિસ્તાર નથી, પણ માછલી પકડવા માટેનો સમૃદ્ધ ઝોન છે. સેટેલાઇટ તસવીરોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, ચીને અહીં 350 મીટર લાંબો ફ્લોટિંગ બેરિયર લગાવીને એન્ટ્રી પોઇન્ટ લગભગ બંધ કરી દીધો છે.
ભાજપ યુવા મોરચાની હિંમતનગરમાં બૃહદ બેઠક યોજાઈ:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની વ્યૂહરચના પર ચર્ચા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા બુધવારે બૃહદ જિલ્લા બેઠકનું આયોજન કરાયું હતું. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ બેઠકમાં જિલ્લા અને તાલુકા સ્તરના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી. સંગઠનને મજબૂત બનાવવા, કાર્યકરોને જવાબદારીઓ સોંપવા અને ચૂંટણી માટેની વ્યૂહરચના અંગે માર્ગદર્શન અપાયું હતું. જિલ્લા યુવા મોરચાએ તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે હિંમતનગર તાલુકા પંચાયતની નિકોડા બેઠક પરથી બિનહરીફ ચૂંટાયેલા નિર્મલભાઈ પટેલનું સન્માન કરાયું હતું. બેઠકમાં પ્રદેશ મહામંત્રી ડૉ. નરેશભાઈ દેસાઈ, જિલ્લા પ્રમુખ ડૉ. ધવલ રાવલ, જિલ્લા પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, જિલ્લા મહામંત્રી પ્રેમલભાઈ દેસાઈ અને જિલ્લા યુવા મોરચા મહામંત્રી રવિન્દ્રસિંહ તરુણભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ ઉપરાંત, પાલિકાના ઉમેદવાર રાહુલભાઈ પટેલ, ધર્મરાજસિંહ દેવડા, પ્રદેશ મીડિયા સહ-કન્વીનર મંથન પંચાલ, પાર્થ પંચાલ, શ્રેયાંસ બારોટ તેમજ તમામ જિલ્લા-મંડળ પ્રમુખો અને યુવા મોરચાની ટીમે પણ હાજરી આપી હતી.
હાલોલ-ગોધરા બાયપાસ પર દોડતી આઈસરમાં આગ:મોટી દુર્ઘટના ટળી, ફાયર ટીમે કાબૂ મેળવ્યો
પંચમહાલના હાલોલ ખાતે મોડી રાત્રે લગભગ 9 વાગ્યે હાલોલ-ગોધરા બાયપાસ પર એક દોડતી આઈસરમાં અચાનક આગ લાગી હતી. આ ટ્રક પોલીકેબ કંપનીમાંથી કેબલ ડ્રમ ભરીને ઇન્દોર જઈ રહી હતી, તે દરમિયાન રાવજી રેસીડેન્સી સામે આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગની જાણ થતાં જ હાલોલ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમે સમયસર કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. આઈસરનો ડ્રાઈવર સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. જોકે, આઈસર અને તેમાં ભરેલા કેબલ ડ્રમને નુકસાન થયું હોવાનું અનુમાન છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ અથવા મશીનરીની ખામીને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને કારણે બાયપાસ પર થોડા સમય માટે ટ્રાફિક પ્રભાવિત થયો હતો. જોકે, પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ વાહનવ્યવહાર ફરી સામાન્ય બન્યો હતો.
વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના છેલ્લા દિવસે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. વલસાડ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, વાપી અને ઉમરગામ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં હવે કુલ 555 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, અનેક ઉમેદવારોએ પોતાના નામાંકન પત્રો પાછા ખેંચી લીધા હતા. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિવિધ બેઠકો પર અંતિમ ઉમેદવારોની સંખ્યા નક્કી કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકો માટે 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે, જેના પરિણામે હવે 92 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે. તેવી જ રીતે, તાલુકા પંચાયતની 150 બેઠકો પરથી 14 ઉમેદવારોએ પીછેહઠ કરી છે, અને હવે 297 ઉમેદવારો ચૂંટણી લડશે. વાપી નગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો પર 8 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે, અને 122 ઉમેદવારો હરીફાઈમાં છે. ઉમરગામ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે 4 ઉમેદવારોએ નામાંકન પરત લીધા છે, જેથી હવે 44 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કઈ બેઠકો બિનહરીફ જાહેર થશે તેનું ચિત્ર આવતીકાલે સ્પષ્ટ થશે. સંબંધિત ચૂંટણી અધિકારીઓ દ્વારા સત્તાવાર રીતે બિનહરીફ બેઠકોની જાહેરાત કરવામાં આવશે. ચૂંટણી સંબંધિત વધુ માહિતી વહીવટી તંત્રની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં, હવે તમામ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો પ્રચાર-પ્રસારમાં જોરશોરથી લાગી જશે. આગામી દિવસોમાં વલસાડ જિલ્લાનું રાજકારણ વધુ ગરમાય તેવી શક્યતા છે.
રજની પટેલે કોંગ્રેસના આક્ષેપોને નકાર્યા:ભાજપની જીત નિશ્ચિત, પ્રલોભનના આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી રજની પટેલે હાજરી આપી હતી. તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચાર અને પ્રલોભનના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. પૂર્વ ગૃહમંત્રી રજની પટેલે કોંગ્રેસના આક્ષેપો પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, વિરોધ પક્ષ દ્વારા ભાજપ પર ઉમેદવારોને 5 લાખથી 25 લાખ રૂપિયા સુધીની ઓફરો આપી ફોર્મ પાછા ખેંચાવવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ અંગે રજની પટેલે સ્પષ્ટતા કરી હતી કે ગુજરાતમાં છેલ્લા 25 થી 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે. નરેન્દ્ર મોદીએ રાજ્યમાં વિકાસની રાજનીતિ શરૂ કરી છે, જેના કારણે લોકોનો ભાજપ પ્રત્યેનો વિશ્વાસ અકબંધ છે. કોંગ્રેસ દ્વારા વાયરલ કરવામાં આવેલી કથિત ઓડિયો ક્લિપ અને પ્રલોભનોના મુદ્દે રજની પટેલે કહ્યું હતું કે તેમણે આવી કોઈ ઓડિયો ક્લિપ સાંભળી નથી. તેમણે ઉમેર્યું હતું કે જ્યારે ભાજપની જીત નિશ્ચિત હોય, ત્યારે કોઈને પણ પ્રલોભન આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ભૂતકાળની તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપે વિજય મેળવ્યો છે અને આ વખતે પણ પરિણામ ભાજપની તરફેણમાં જ આવશે. રજની પટેલે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે ચૂંટણી લડવા માટે કોઈ નક્કર મુદ્દાઓ બચ્યા નથી, તેથી તેઓ પાયાવિહોણા આક્ષેપો કરીને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે સમગ્ર રાજ્યમાં ભાજપ સંગઠન મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યું છે અને વિરોધ પક્ષના આ તમામ આક્ષેપો પાયાવિહોણા સાબિત થશે.
ભારત ગૌરવ ટ્રેન 12 મેથી શરૂ:IRCTC દ્વારા સુરેન્દ્રનગરથી દક્ષિણ ભારત યાત્રાનું આયોજન
IRCTC દ્વારા 'એક ભારત શ્રેષ્ઠ ભારત' અને 'દેખો અપના દેશ' અભિયાન હેઠળ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે 'ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન'નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેન 12 મે, 2026 થી 22 મે, 2026 દરમિયાન 10 રાત્રિ અને 11 દિવસ માટે 'દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા સાથે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ' પ્રવાસ કરાવશે. આ યાત્રા રાજકોટથી શરૂ થશે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસીઓ માટે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર બોર્ડિંગની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે અને સોલાપુર સ્ટેશનથી પણ મુસાફરો આ ટ્રેનમાં જોડાઈ શકશે. આ 11 દિવસની યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને દક્ષિણ ભારતના પ્રખ્યાત ધાર્મિક સ્થળો જેવા કે તિરુપતિ બાલાજી મંદિર, રામનાથસ્વામી રામેશ્વરમ જ્યોતિર્લિંગ મંદિર, મદુરાઈનું મીનાક્ષી મંદિર, કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ અને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શનનો લાભ મળશે. IRCTC દ્વારા દરેક સ્ટેશન પર આગમન અને દર્શનની ચોક્કસ રૂપરેખા તૈયાર કરાઈ છે, જેમાં તિરુપતિમાં રાત્રિ રોકાણ અને કન્યાકુમારીમાં સૂર્યોદય-સૂર્યાસ્ત પોઈન્ટ તથા ગાંધી મંડપમની મુલાકાતનો સમાવેશ થાય છે. મુસાફરોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ટ્રેનના દરેક કોચમાં સીસીટીવી કેમેરા અને ખાનગી સુરક્ષા ગાર્ડ તૈનાત કરાયા છે. પ્રવાસીઓને મનોરંજન અને યાત્રાની વિગતો આપવા માટે ટ્રેનમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ કાર્યરત રહેશે. આધુનિક કિચન કાર દ્વારા ટ્રેનમાં જ શુદ્ધ શાકાહારી ભોજન (બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર) તેમની સીટ પર પીરસવામાં આવશે. આ પેકેજમાં બજેટ હોટેલમાં રહેવાની વ્યવસ્થા, સ્થળોની મુલાકાત માટે બસ સુવિધા, ટૂર એસ્કોર્ટ અને મુસાફરી વીમો જેવી તમામ પાયાની જરૂરિયાતો સામેલ છે. પ્રવાસ માટે ત્રણ શ્રેણીઓના દર નક્કી કરાયા છે: ઈકોનોમી ક્લાસ (સ્લીપર) માટે વ્યક્તિ દીઠ રૂ. 21,525/-, કમ્ફર્ટ ક્લાસ (3AC) માટે રૂ. 39,105/- અને કમ્ફર્ટ ક્લાસ (2AC) માટે રૂ. 48,185/-. સરકારી કર્મચારીઓ માટે આ પ્રવાસમાં LTC સુવિધા પણ માન્ય રહેશે. બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે અને મુસાફરો 'બુક કરો EMI થી' સુવિધા દ્વારા પણ ચુકવણી કરી શકે છે, જે ફક્ત ઓનલાઈન બુકિંગ માટે ઉપલબ્ધ છે. બુકિંગ માટે IRCTCની વેબસાઇટ www.irctctourism.com પર લોગીન કરી શકાય છે. રાજકોટના નંબર 9321901852/51/52 પર સંપર્ક કરી શકાય છે.
જામનગર મહાનગરપાલિકા ચૂંટણી:વોર્ડ 2માં 8 ઉમેદવાર, વોર્ડ 16માં સૌથી વધુ 27 ઉમેદવાર મેદાનમાં
જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે વોર્ડવાર ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થઈ ગઈ છે. આ ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં સૌથી ઓછા 8 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે વોર્ડ નંબર 16માં સૌથી વધુ 27 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. વોર્ડ નંબર 2માં કુલ આઠ ઉમેદવારો છે, જ્યાં મુખ્યત્વે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો જોવા મળશે. આ વોર્ડની ચારેય બેઠકો પર બંને મુખ્ય પક્ષોએ ચાર-ચાર ઉમેદવારો ઉભા રાખ્યા છે. બીજી તરફ, વોર્ડ નંબર 16માં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો સહિત કુલ 27 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. આ વોર્ડમાં બહુકોણીય જંગ જામવાની શક્યતા છે. અન્ય વોર્ડની વાત કરીએ તો, વોર્ડ નંબર 1માં 20 ઉમેદવારો, વોર્ડ નંબર 3માં 9 ઉમેદવારો અને વોર્ડ નંબર 4માં 12 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે. વોર્ડ નંબર 5માં 11 ઉમેદવારો અને વોર્ડ નંબર 6માં 19 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. વોર્ડ નંબર 7 અને 8માં બાર-બાર ઉમેદવારો મેદાનમાં છે. વોર્ડ નંબર 9માં 21 ઉમેદવારો, જ્યારે વોર્ડ નંબર 10 અને 11માં પંદર-પંદર ઉમેદવારો વચ્ચે ટક્કર થશે. વોર્ડ નંબર 12માં 20 ઉમેદવારો અને વોર્ડ નંબર 13માં 18 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ ઉપરાંત, વોર્ડ નંબર 14માં 17 ઉમેદવારો અને વોર્ડ નંબર 15માં 24 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે. આમ, વોર્ડવાર ઉમેદવારોની સંખ્યામાં જોવા મળતા મોટા તફાવતને કારણે કેટલીક જગ્યાએ સીધો મુકાબલો તો કેટલીક જગ્યાએ બહુહરીફી જંગ જોવા મળશે તેવો અંદાજ છે.
નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ મજબૂત પકડ જમાવી છે. ચીખલી તાલુકાની રૂમલા જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપે બિનહરીફ વિજય મેળવ્યો છે. આ બેઠક કેબિનેટ મંત્રી નરેશ પટેલના હોમગ્રાઉન્ડ તરીકે ઓળખાય છે, જ્યાં ભાજપે શક્તિપ્રદર્શન કર્યું છે. આ બેઠક પરથી કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ વલ્લભભાઈ દેશમુખે પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા રાજકીય ગરમાવો આવ્યો હતો. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના મતવિસ્તારમાં આવતી આ બેઠક પર ભાજપનો બિનહરીફ વિજય કોંગ્રેસ માટે મોટો ઝટકો માનવામાં આવે છે. ભાજપના વિજયની જાહેરાત થતા જ કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રૂમલા ગામમાં આયોજિત ઉજવણીમાં મંત્રી નરેશ પટેલ સામાન્ય કાર્યકરની જેમ ઝૂમી ઉઠ્યા હતા. કાર્યકરોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી વિજય ઉત્સવ મનાવ્યો હતો. ગણદેવીના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી નરેશ પટેલે વિજેતા કૌશિક પટેલને શુભેચ્છા આપવા રૂમલાના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લીધી હતી. નવસારી જિલ્લામાં ભાજપે અત્યાર સુધીમાં અનેક બેઠકો બિનહરીફ પોતાના નામે કરી છે. જિલ્લા પંચાયતની રૂમલા, સમરોલી અને ધેજ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. આ ઉપરાંત, ચીખલી તાલુકા પંચાયતની ચીખલી, સમરોલી, તેજલાવ, તલાવચોરા અને પીપલગભણ સહિત પાંચ બેઠકો પણ બિનહરીફ રહી છે.
રાજુલા બસ સ્ટેશનમાં ખિસ્સાકાતર ટોળકી ઝડપાઈ:3.20 લાખનો મુદ્દામાલ જપ્ત, બે આરોપી પકડાયા
રાજુલા પોલીસે બસ સ્ટેશનમાં સક્રિય ખિસ્સાકાતર ટોળકીના બે સભ્યોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ચોરીના રોકડા રૂપિયા 20,000 અને ગુનામાં વપરાયેલી અર્ટીગા કાર સહિત કુલ 3.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી 13 એપ્રિલ, 2026ના રોજ નોંધાયેલા એક ગુનાના સંદર્ભમાં કરવામાં આવી હતી. નાગેશ્રી ગામના 70 વર્ષીય ખેડૂત દડુભાઈ બોરીચા રાજુલા માર્કેટ યાર્ડમાં કપાસ વેચીને 20,000 રૂપિયા લઈને બસ સ્ટેશન આવ્યા હતા. બસમાં ભારે ભીડનો લાભ લઈને અજાણ્યા શખ્સોએ તેમના પેન્ટના ખિસ્સામાંથી રૂપિયા ચોરી લીધા હતા. આ અંગે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનાની તપાસ દરમિયાન, પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદ લીધી હતી. 14 એપ્રિલ, 2026ની રાત્રે રાજુલા રેલવે સ્ટેશન વિસ્તારમાંથી બે શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ ચોરીની કબૂલાત કરી હતી. તેમની ઓળખ સુરેશભાઈ કાળુભાઈ પરમાર (ઉંમર 26) અને અજયભાઈ કમાભાઈ સોલંકી (ઉંમર 30) તરીકે થઈ છે, જે બંને ગીર ગઢડા વિસ્તારના રહેવાસી છે. આ ટોળકી અર્ટીગા કારમાં આવતી અને બસ સ્ટેશનથી થોડે દૂર કાર પાર્ક કરતી હતી. ત્યારબાદ તેઓ મુસાફર બનીને ભીડવાળી બસોમાં ચડતા અને ખાસ કરીને વૃદ્ધ તેમજ ખેડૂત લોકોને નિશાન બનાવીને ખિસ્સા કાપતા હતા. આરોપીઓએ રાજકોટ, ભાવનગર અને તળાજાના બસ સ્ટેશનો પર પણ આ જ રીતે ચોરીઓ કરી હોવાની કબૂલાત આપી છે.
જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. માણાવદર ભાજપના પૂર્વ મહામંત્રી રાજુ બોરખતરીયાએ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પત્ર લખી, દિનેશ ખટારીયા દ્વારા પક્ષના નિયમો નેવે મૂકીને સત્તાના જોરે પરિવારવાદ ચલાવ્યો હોવાના સનસનીખેજ આક્ષેપ કરતા રાજકારણ ગરમાયું છે. પક્ષના નિયમોનું ઉલ્લંઘન કરી પરિવારવાદ વધાર્યાનો આક્ષેપજૂનાગઢ જિલ્લામાં આગામી 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, ત્યારે ભાજપના પાયાના અને નિષ્ઠાવાન કાર્યકર રાજુ બોરખતરીયાએ પક્ષના સંગઠન સામે બાયો ચડાવી છે. તેમણે પ્રદેશ પ્રમુખને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, પક્ષની માર્ગદર્શિકા સ્પષ્ટ છે કે જે ત્રણ ટર્મ સુધી ચૂંટણી લડ્યા હોય તેમને અથવા તેમના વંશજોને ટિકિટ આપવી નહીં. આમ છતાં, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા અને જિલ્લા સંગઠને મળીને આ નિયમનો ભંગ કર્યો છે. કણજા બેઠક પર ષડયંત્ર રચાયાની રજૂઆતરાજુ બોરખતરીયાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, જૂનાગઢ જિલ્લા પંચાયતની 13-કણજા બેઠક પર દિનેશભાઈ ખટારીયાએ પોતાના વેવાઈ ભીમાભાઈ દાનાભાઈ ડાંગરને પક્ષનું મેન્ડેટ અપાવ્યું હતું, પરંતુ આ માત્ર એક કાવતરાનો ભાગ હતો. મુખ્ય ઉમેદવાર તરીકે ભીમાભાઈનું ફોર્મ ભરાવ્યા બાદ, ડમી ઉમેદવાર તરીકે કિરણબેન ડાંગરનું ફોર્મ ભરાવવામાં આવ્યું હતું. ટેકનિકલ કારણો આગળ ધરી ડમીને અસલી બનાવ્યાપત્રમાં વધુમાં જણાવ્યા અનુસાર, પૂર્વ આયોજિત ષડયંત્ર મુજબ મુખ્ય ઉમેદવાર (વેવાઈ)નું ફોર્મ ટેકનિકલ ખામીના બહાને રદ કરાવવામાં આવ્યું. જેના કારણે ડમી ઉમેદવાર કિરણબેન ડાંગરનું ફોર્મ માન્ય રહ્યું. મહત્વની વાત એ છે કે, કિરણબેન એ દિનેશભાઈ ખટારીયાના પુત્ર મયુરભાઈના પત્ની એટલે કે તેમની સગી પુત્રવધૂ છે. રાજુભાઈના મતે, ગુજરાત ભાજપના ઇતિહાસમાં સત્તાવાર ઉમેદવારનું ફોર્મ રદ થાય તેવી આ પ્રથમ શરમજનક ઘટના છે. ‘જિલ્લા સંગઠનની મિલીભગત વગર આ કાવતરું અશક્ય’આ સમગ્ર મામલે પૂર્વ મહામંત્રીએ માત્ર દિનેશ ખટારીયા જ નહીં, પરંતુ જૂનાગઢ જિલ્લા ભાજપ સંગઠન પર પણ આક્ષેપો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે જિલ્લા સંગઠનની મિલીભગત વગર આ પ્રકારનું કાવતરું શક્ય નથી. પોતાના જ ઘરમાં ટિકિટ રાખવા માટે પક્ષની શિસ્ત અને નિયમોનું ચીરહરણ કરવામાં આવ્યું છે, જેનાથી સામાન્ય કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાર્યકરનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે કાર્યવાહીની માગરાજુ બોરખતરીયાએ પત્રના અંતે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને વિનંતી કરી છે કે, આ આખા પ્રકરણની તટસ્થ તપાસ કરવામાં આવે. તેમણે ઉમેર્યું કે, તેઓ 1996થી પક્ષમાં સક્રિય છે અને તેમના પિતા પણ 1981થી ભાજપ સાથે જોડાયેલા હતા. પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારા આવા તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને પક્ષના પાયાના કાર્યકરનો વિશ્વાસ જળવાઈ રહે. હાલમાં આ પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થતા જૂનાગઢના રાજકીય આલમમાં ભારે ચર્ચાઓ જાગી છે.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલિકા અને પંચાયતની આશરે 10 હજાર બેઠકો પર આજે(15 એપ્રિલ) ફોર્મ ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. હવે પ્રચારનો ધમધમાટ શરૂ થશે. જો કે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજ્યભરમાં જબરદસ્ત રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પાછું ખેંચવા આવતા કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આક્રોશિત કાર્યકરોએ ઉમેદવારની કારના કાચ પણ ફોડી નાખ્યા હતા. ડભોઈ તાલુકા પંચાયતની ચૂંટણીના જંગમાં આજે રણમેદાન જેવો માહોલ સર્જાયો હતો. ફોર્મ ખેંચવાની પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસ તાલુકા પ્રમુખ સુધીર બારોટ અને ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા. આમ વડોદરા શહેર-જિલ્લામાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટ સહિતના નેતાઓ અને કાર્યકરોએ કોંગ્રેસને જીવતી રાખવા પોતાનો જીવ રેડી દીધો હતો. રાજ્યની પાલિકા-પંચાયતની ચૂંટણીમાં 15મી એપ્રિલે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતા ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. અમદાવાદમાં કોંગ્રેસ એક ઉમેદવારે ફોર્મ જ ન ભરતા અને ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. જેના કારણે ભાજપની 2 બેઠકો બિનહરીફ થઈ છે. હવે અમદાવાદ મનપામાં ભાજપમાં 190 ઉમેદવારો સામે કોંગ્રેસના 187 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જ્યારે સુરતમાં કોંગ્રેસના 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. પરંતુ, અહીં ભાજપની એકેય બેઠક બિનહરીફ થઈ નથી. સુરત મહાનગરપાલિકામાં ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળશે.અહીં ભાજપના 120, કોંગ્રેસના 117 અને આપના 111 અને અન્ય ઉમેદવારો સહિત 483 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જ્યારે વડોદરા મહાનગરપાલિકામાં પણ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભારે ખેંચતાણ જોવા મળી. વડોદરાની 76 બેઠક માટે ભાજપ,કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, AIMIM અને અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. મહાનગરપાલિકાની 76 બેઠક ઉપર બે બેઠક બિનહરીફ થઈ છે જેમાં વોર્ડ 2માં કોંગ્રેસના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિએ ઉમેદવારીપત્ર પરત ખેંચતા ભાજપના ઉમેદવાર ધ્રુવિતા બ્રહ્મભટ્ટ બિનહરીફ થયા છે તો વોર્ડ 11માં કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉપેન્દ્ર પ્રજાપતિ બિનહરીફ થયા છે. 76 બેઠકમાંથી 2 બેઠક બિનહરીફ થતા હવે 74 બેઠક ઉપર ચૂંટણી જંગ ખેલાશે. હવે 74 બેઠક ઉપર કુલ 258 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 18 વોર્ડની 72 બેઠક સામે 236 ઉમેદવારો વચ્ચે ચૂંટણી મેદાનમાં છે. આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે આમ આદમી પાર્ટીના 3 સહિત કુલ 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના 72, કોંગ્રેસના 72, આમ આદમી પાર્ટીના 69, બહુજન સમાજ પાર્ટીના 9, શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના 1, ભારત આદિવાસી પાર્ટીનો 1, અન્ય પક્ષનો 1 અને અપક્ષના 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.
હિંમતનગર આસપાસના હુડામાં સમાવિષ્ટ 11 ગામના રહીશોએ બાંયો ચઢાવી છે અને હુડા રદ કરવાની કાર્યવાહીમાં જે ઉમેદવાર સોગંદપૂર્વક ખાતરી આપશે તેને જ સમર્થન આપવાનું જાહેર કરી સંકલ્પ પત્ર ભરાવવાનો નિર્ણય કરાતા ગરમાવો આવી ગયો છે. સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણી પ્રક્રિયા આખરી ચરણમાં પહોંચી ગઈ છે. આજે ફોર્મ પરત ખેંચવાની અવધિ પૂર્ણ થયા બાદ પ્રચાર કાર્ય પણ જોરશોરથી શરૂ થનાર છે ત્યારે હિંમતનગર તાલુકા પંચાયતની 8 બેઠક, જિલ્લા પંચાયતની હિંમતનગર તાલુકામાં આવતી 7 બેઠક અને હિંમતનગર પાલિકાના ત્રણેક વોર્ડમાં હુડા આંદોલનની અસર જોવા મળી રહી છે અને વિવિધ સોશ્યલ મીડિયા ગ્રુપમાં પ્રતિક્રિયાઓ આવી રહી છે. હુડા સંકલન સમિતિના ઉત્સવ પટેલે જણાવ્યું કે સંકલન સમિતિની બેઠક કરાઈ હતી જેમાં ચર્ચાને અંતે એક સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવ્યું છે. પ્રચાર માટે આવતા તમામ ઉમેદવારોએ અમારી હુડા-સત્તામંડળને સંપૂર્ણપણે રદ કરવાની માંગણી સાથે સંમત હોય તો સોગંદ પૂર્વક ખાતરી આપીને સંકલ્પપત્ર ભરવાનું રહેશે અને ચૂંટાયા બાદ સરકાર દ્વારા ખેડૂતો વિરોધી કોઈ નિર્ણય લેવાય તો રાજીનામુ આપવાની બાંહેધરી આપી ખેડૂતોની પડખે રહેવાનું વચન આપવાનું રહેશે. અમારા સંકલ્પ પત્રની તમામ વિગતો સાથે જે સહમત હશે અને સંકલ્પપત્ર, બાંહેધરી આપશે તેને અમારા 11 ગામનું સમર્થન મળશે તેવું ઠરાવાયું છે.
ઉમેદવારોની સંપત્તિ:હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નં. 7ના ઉમેદવાર પાસે સૌથી વધુ 2 કરોડના ઘરેણાં
હિંમતનગર નગરપાલિકાના 11 વોર્ડમાં 44 બેઠકો માટે ભાજપ-કોંગ્રેસના 83 ઉમેદવારોએ રજૂ કરેલ એફિડેવિટોનું વિશ્લેષણ કરતા ભાજપના ઉમેદવારો સંપત્તિમાં આગળ છે. તો કોંગ્રેસના એક ઉમેદવાર અભ્યાસમાં એમબીબીએસ-પીજી સાથે સૌથી આગળ હોવાનું બહાર આવ્યું છે. જોકે, કોંગ્રેસમાં એક અભણ સહિત 13 ઉમેદવારો ધો-10 કે તેથી ઓછું ભણેલા છે તો ભાજપમાં પણ ધો-10 કે તેથી ઓછું શિક્ષણ ધરાવતા 08 ઉમેદવાર છે.સૌથી વધુ ઝવેરાત 2,04,50,009 વૉર્ડ નંબર 7 ના ભાજપના ઉમેદવાર અમૃતભાઈ પુરોહિતનું છે. હિંમતનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાં 13 અને ભાજપના 08 ઉમેદવારો ધો-10થી ઓછું ભણેલા છે તોએક ઉમેદવાર અભણ છે. ભાજપના 23 અને કોંગ્રેસના 10 ઉમેદવારોએ ધો-12થી વધુ અભ્યાસ કર્યો છે.
ઠગાઈ:ધાનેરાના ટ્રક માલિક-ચાલકે ટ્રક ચોરીનું ખોટું બહાનું બનાવી 300 બોરી રાયડો વેચી માર્યો
ધાનેરા તાલુકાના નેનાવાથી રાજસ્થાનના દેવડા ગામના ખેડૂતનો 300 બોરી રાયડો ભરેલો ટ્રક ચંડીસર ઓઇલ મિલ તરફ રવાના થયો હતો. જોકે ટ્રક માલિક-ડ્રાઇવરે ટ્રક ચોરી થઈ હોવાનું ખોટું બહાનું બનાવી માલ બારોબાર વેચી માર્યો હતો. ખેડૂતને 15 દિવસ સુધી વિશ્વાસમાં રાખ્યા બાદ સમગ્ર મામલો બહાર આવતા ગઢ પોલીસ મથકે ટ્રક માલિક-ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. રાજસ્થાનના ઝાલોર જિલ્લાના દેવડા ગામના ખેડૂત મદનલાલ અણદારામ ચૌધરીએ પોતાના ખેતરમાં થયેલ રૂ.18 લાખના રાયડાની 300 બોરીઓ વેચવા માટે નેનાવા માર્કેટમાં લાવ્યા હતા. પરંતુ નેનાવા માર્કેટમાં પૂરતા ભાવ ન મળતા દલાલ મારફતે આ માલ ચંડીસરની વૈષ્ણોદેવી ઓઇલ મિલમાં મોકલવાનું નક્કી થયું હતું. આ માટે ધાનેરાના ટ્રક માલિક ભાવેશકુમાર બિહારીલાલ મહેશ્વરી અને તેના ડ્રાઇવર સોનુ ભોલા પટેલની ટ્રક નંબર આરજે-19-જીબી-7405 ને ભાડે કરવામાં આવી હતી. 26 માર્ચ 2026 ના રોજ રાયડો ભરીને નીકળેલી ટ્રક ફ્કત 73 કિલોમીટર દૂર આવેલ ચંડીસરમાં મિલ પર બીજા દિવસે પણ પહોંચી ન હતી. ટ્રક માલિક ભાવેશકુમારે અગાઉ એવું બહાનું કાઢ્યું હતું કે, મિલમાં લાઇન હોવાથી વાર લાગશે, પરંતુ બાદમાં ડ્રાઇવર ફોન ઉપાડતો નથી અને ટ્રક કોઈ ચોરી કરી ગયું છે તેવી ખોટી હકીકત જણાવવામાં આવી હતી. ખેડૂતે જ્યારે પોલીસ કાર્યવાહીની વાત કરી ત્યારે આરોપીઓએ રાયડો અથવા તેની કિંમત પરત આપી દેવાની ખાતરી આપી વિશ્વાસમાં લીધા હતા. પંદર દિવસ વીતવા છતાં કોઈ રકમ કે માલ પરત ન મળતા, છેતરાયા હોવાનો અહેસાસ થતા ખેડૂતે ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ શખ્સો સામે ફરિયાદ ભાવેશ બિહારીલાલ મહેશ્વરી ( ધાનેરા) સોનુ ભોલા રોશન પટેલ (ઉત્તરપ્રદેશ)
ગંભીર અકસ્માત સર્જાયો:કેબિનમાં ફસાયેલા ચાલકને જહેમત બાદ બહાર કાઢ્યો
નેશનલ હાઈવે 48 પર તાજપુર કુઈ અને પ્રાંતિજ વચ્ચે રખડતા આખલાને બચાવવાના પ્રયાસમાં એક આઈશર ચાલકે કાબૂ ગુમાવતા માર્ગ પરથી પસાર થતી ઊંટલારીને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર બાદ આઈશર ગાડી વીજ પોલ સાથે અથડાઈને એક રસના કેબિન પાસે ઊભી રહી ગઈ હતી. આ હૃદયદ્રાવક ઘટનામાં ગંભીર ઇજાઓને કારણે ઊંટનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ઊંટલારીના માલિક અજયભાઈ વસાભાઈ રાવળ અને આઈશર ચાલક બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક લોકોએ કેબિનમાં ફસાયેલા ચાલકને ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો. સીતવાડાના સરપંચ મિલકતસિંહ રાઠોડે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી ભોગ બનનાર પરિવારને સહાય મળે તેવી માંગ કરી છે.
પાલનપુર શહેરમાં ગુજરાતની પ્રથમ એવી ઘટના નોંધાઈ છે. જેમાં કોંગ્રેસની મહિલા ઉમેદવાર સામે ભાજપના ત્રણ ઉમેદવારો ચૂંટણી લડશે. અહીં વોર્ડ 1માંથી કોંગ્રેસના અશોક જોષી, આરતી ઠાકોર અને આશિષ પઢિયારે ફોર્મ પાછાં ખેંચ્યાં હતા. પરંતુ લતાબેન સોલંકી, જેઓ સામાન્ય સ્ત્રી સીટ પરથી ઊભા હતા, તેમણે ફોર્મ પાછું ખેંચ્યું નહોતું. આથી સવારે ભાજપના ત્રણ ઉમેદવારો બિનહરીફ થયા હોવાનું જાહેર થતાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જોકે સામાન્ય સીટ પર ઊભેલા દશરથસિંહ સોલંકી, અંકુર જોષી અને સામાન્ય સ્ત્રી સીટ પર ઊભેલી મીતાબેન સોની – ત્રણેય સામાન્ય સીટ પર હોવાને કારણે હવે અહીં ચૂંટણીની સ્થિતિ સર્જાઈ છે. એકમાત્ર કોંગ્રેસની મહિલા ઉમેદવાર સહિત અહીં સૌથી ઓછાં મત મેળવનાર સામાન્ય ઉમેદવાર હારશે, જ્યારે બાકીના ત્રણ ઉમેદવારો વિજેતા જાહેર કરાશે. પાલનપુર નગરપાલિકામાં ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે પ્રાંત કચેરી પરિસરમાં સવારથી જ હાઈ વોલ્ટેજ ડ્રામાની સ્થિતિ જોવા મળી હતી. સવારે 11 વાગ્યાથી કોંગ્રેસના નેતાઓ ગ્રાઉન્ડ ફ્લોર પર પગથિયાં પાસે ગોઠવાઈ ગયા હતા, જેથી કોંગ્રેસનો કોઈ ઉમેદવાર ફોર્મ પાછું ખેંચવા અંદર જઈ ન શકે. આવી પરિસ્થિતિ વચ્ચે પણ ભાજપના નેતાઓ કોઈક રીતે પ્રથમ માળે આવેલી પ્રાંત કચેરીમાં પહોંચી વોર્ડ નંબર 1માંથી ત્રણ ઉમેદવારોના ફોર્મ પાછાં ખેંચાવી લીધાં હતા. જેના કારણે ભાજપના નેતાઓએ માન્યું કે અહીં ત્રણ બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. આ અંગે ભાજપ કાર્યાલય દ્વારા અધિકૃત જાહેરાત પણ કરાઈ દેવાઈ હતી. ઉપરાંત બિનહરીફ જાહેર થયેલા ઉમેદવારો દશરથસિંહ સોલંકી અને અંકુરભાઈ જોષી દ્વારા આભાર દર્શન અને અભિવાદન કાર્યક્રમ પણ યોજાયો હતો. જોકે, ચૂંટણી પંચે સાંજે સ્પષ્ટતા કરી કે કોંગ્રેસની પછાત વર્ગની મહિલાએ ફોર્મ પાછું ખેંચ્યું હોવાથી તેની સામે ભાજપની પછાત વર્ગની મહિલા ઉમેદવાર બિનહરીફ થઈ છે. પરંતુ લતાબેન સોલંકી સામાન્ય કેટેગરીમાં હોવાથી તેમની સામેના ઉમેદવારોને ચૂંટણી લડવી જ પડશે. આ પરિસ્થિતિ ઊભી થતા ચૂંટણી વિભાગના અધિકારીઓએ માત્ર જાગૃતિ ચૌધરીને જ બિનહરીફ જાહેર કર્યા હતા. આમ પાલનપુર શહેરમાં વોર્ડ નં. 1માં 1, વોર્ડ નં. 3માં 1 અને વોર્ડ નં. 10માં 2 મળી કુલ 4 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. પાલિકાના વોર્ડ નંબર 1ની ચૂંટણીની વર્તમાન સ્થિતિને સાદી અને સરળ ભાષામાં સમજો સવારે 3 બેઠકો બિનહરીફ માનીને ભાજપે વિજયી ઉત્સવ કેમ મનાવ્યો? સામાન્ય રીતે જ્યારે વિરોધ પક્ષના ઉમેદવારો ફોર્મ ખેંચે ત્યારે સામેવાળા ઉમેદવાર જીતી ગયા ગણાય. વોર્ડ-1માં કોંગ્રેસના 3 ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા, એટલે ભાજપના નેતાઓને એમ લાગ્યું કે હવે તેમની સામે કોઈ જ નથી, તેથી 3 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. પરંતુ તેઓ એ ભૂલી ગયા કે કોંગ્રેસના ચોથા ઉમેદવાર (લતાબેન) મેદાનમાં હજુ પણ ઉભા છે. એક જ મહિલા ઉમેદવાર બાકી હોય તો બાકીના 3 કેમ બિનહરીફ ન થયા? ચૂંટણીના નિયમ મુજબ, જો કોઈ વોર્ડમાં કુલ 4 બેઠકો હોય અને સામે પક્ષે માત્ર 1 જ ઉમેદવાર બાકી હોય, તો તે એક ઉમેદવાર ગમે તે બેઠક પર લડી શકે છે. અહી કોંગ્રેસના લતાબેન સામાન્ય (General) બેઠક પર છે. જ્યાં સુધી તેઓ મેદાનમાં છે, ત્યાં સુધી ભાજપના ત્રણેય સામાન્ય બેઠકના ઉમેદવારો (દશરથસિંહ, અંકુરભાઈ અને મીતાબેન) સામે હરીફાઈ ગણાય. એટલે કે, આ ત્રણેયમાંથી કોઈ એકની સામે લતાબેન ચૂંટણી લડી રહ્યા છે તેવું માનવામાં આવે છે. તો પછી માત્ર જાગૃતિબેન ચૌધરી જ કેવી રીતે બિનહરીફ જાહેર થયા?કારણ કે જાગૃતિબેન પછાત વર્ગ (OBC)ની અનામત બેઠક પર હતા. તેમની સામે કોંગ્રેસના જે ઉમેદવાર આરતીબેન ઠાકોર હતા, તેમણે ફોર્મ ખેંચી લીધું. હવે પછાત વર્ગની બેઠક પર જાગૃતિબેન સિવાય બીજું કોઈ જ ઉમેદવાર બાકી રહ્યું નથી, તેથી નિયમ મુજબ માત્ર તેમને જ વિજેતા (બિનહરીફ) જાહેર કરી શકાય. હવે વોર્ડ-1 માં ચૂંટણીનું ચિત્ર શું રહેશે?હવે સ્થિતિ એવી છે કે ભાજપના 3 ઉમેદવારો (2 પુરુષ અને 1 મહિલા) મેદાનમાં છે અને તેમની સામે કોંગ્રેસના માત્ર મહિલા ઉમેદવાર (લતાબેન) છે. મતદારોએ 4 માંથી 3 ઉમેદવારોને પસંદ કરવાના રહેશે. જે ઉમેદવારને સૌથી ઓછા મત મળશે તે હારી જશે. એટલે કે, ભાજપના 3 ઉમેદવારો વચ્ચે જંગ નથી, પણ આ ત્રણેયમાંથી કોઈ પણ એક હારી શકે છે જો કોંગ્રેસના મહિલા ઉમેદવારને તેમના કરતા વધુ મત મળે તો. આ આખી ઘટનામાં ક્યાં ભૂલ થઈ? અહીં કેટેગરી સમજવામાં ભૂલ થઈ હતી. ભાજપના નેતાઓને લાગ્યું કે ત્રણેય પુરુષો સામેના ઉમેદવારો હટી ગયા છે એટલે તેઓ જીતી ગયા. પણ ટેકનિકલ રીતે, જ્યાં સુધી વોર્ડની કુલ બેઠકો જેટલા જ ઉમેદવારો મેદાનમાં ન રહે, ત્યાં સુધી બિનહરીફ જાહેર ન થઈ શકાય. બનાસકાંઠા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચૂંટણી ફેસલો આ રીતે થશે? ભાજપના નેતાઓ કોંગ્રેસની આરતી ઠાકોરની ઓળખ છુપાવીને પ્રાંત કચેરીમાં લઈ ગયા હતાપ્રાંત કચેરીએ બપોરે પાલિકા વોર્ડ નં. 1ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર આરતી ઠાકોરે ફોર્મ પરત ખેંચ્યું હતુ. જ્યાં પાલિકાના પૂર્વ પ્રમુખ હસમુખ પઢિયાર, પૂર્વ ઉપપ્રમુખ નાગજી દેસાઇ, સંજય જાની સહિતે ઉમેદવાર આરતીબેન ઠાકોરને કોર્ડન કરી કચેરીમાં લાવ્યા હતા. ફોર્મ પરત ખેંચ્યા પછી તેણીનો હાથ પકડી કારમાં બેસાડી લઇ જવાઇ હતી. આ હાઇવોલ્ટેજ ડ્રામાથી ઉત્તેજના પ્રસરી ગઇ હતી.

30 C