નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઇરાનના દાવા સાથે જોડાયેલા રહ્યા. તેણે બે અમેરિકી હેલિકોપ્ટર પાડ્યા હોવાનો દાવો કર્યો. બીજા મોટા સમાચાર પાકિસ્તાનની ધમકી અંગે રહ્યા. ત્યાંના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે આ વખત કોલકાતા સુધી હુમલો કરશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી આસામના હોજાઈમાં ચૂંટણી સભા કરશે. 2. રાહુલ ગાંધીના નાગરિકતા વિવાદ મામલે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં સુનાવણી થશે. કાલના મોટા સમાચારો 1. ઈરાને કહ્યું-બે અમેરિકી હેલિકોપ્ટર અને બે ટ્રાન્સપોર્ટ વિમાન તોડી પાડ્યા: રિપોર્ટમાં દાવો- અમેરિકાએ પોતે જ સળગાવી દીધા, ટેકનોલોજી ચોરી થવાનો ડર હતો ઈરાને દાવો કર્યો છે કે તેણે અમેરિકી રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 2 હેલિકોપ્ટર અને 2 ટ્રાન્સપોર્ટ વિમાન તોડી પાડ્યા છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી ઈસ્ફહાનના દક્ષિણી વિસ્તારમાં કરવામાં આવી હતી, જ્યારે અમેરિકી સેના પોતાના પાયલોટને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી. IRGCનું કહેવું છે કે આ ઓપરેશન દરમિયાન તેણે 2 C-130 ટ્રાન્સપોર્ટ વિમાન અને 2 બ્લેક હોક હેલિકોપ્ટરને તબાહ કરી દીધા, જેનાથી અમેરિકી રેસ્ક્યુ મિશન નિષ્ફળ ગયું. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે રેસ્ક્યુ ઓપરેશન સફળ રહ્યું છે અને પાયલોટને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. PM મોદી બોલ્યા- TMCના પાપોનો ઘડો ભરાઈ ગયો છે:એક ખાસ ધર્મના લોકો બંગાળમાં હિંદુઓનું રહેવું મુશ્કેલ કરી દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં એક ચૂંટણી સભામાં કહ્યું કે TMCના પાપોનો ઘડો ભરાઈ ગયો છે અને હવે જનતા પરિવર્તન ઈચ્છે છે. ચૂંટણી પછી ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી થશે, એક-એકનો હિસાબ લેવામાં આવશે. PM મોદીએ કહ્યું કે 1905માં ધાર્મિક શક્તિઓએ બંગાળમાં લાલ ઇશ્તેહાર બહાર પાડ્યો હતો, જેના પછી હિંદુઓનો નરસંહાર થયો હતો. TMC તે જ યાદ અપાવવા માગે છે. એક ખાસ ધર્મના લોકો બંગાળમાં હિંદુઓનું રહેવું મુશ્કેલ કરી દેશે. વડાપ્રધાને આરોપ લગાવ્યો કે TMC શાસનમાં લોકતંત્ર નબળું પડ્યું છે. બંધારણીય સંસ્થાઓની અવગણના કરવામાં આવી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. પાકિસ્તાનની ભારતને ધમકી- આગામી યુદ્ધ બોર્ડર સુધી સીમિત નહીં રહે:રક્ષા મંત્રીએ કહ્યું- અમે લોકો કોલકાતા સુધી પહોંચીશું, તેમના ઘરમાં ઘૂસીને માર મારીશું પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે શનિવારે સિયાલકોટમાં પત્રકારો સાથે વાત કરતા ભારતને ધમકી આપી છે. તેમણે કહ્યું કે જો ભારત કોઈ ફોલ્સ ફ્લેગ ઓપરેશન (છુપાઈને હુમલો) કરશે, તો આ વખતે સંઘર્ષ માત્ર સરહદ સુધી સીમિત નહીં રહે, પરંતુ કોલકાતા સુધી પહોંચી શકે છે. ખ્વાજા આસિફે દાવો કર્યો કે ભારત પોતાના લોકો અથવા કસ્ટડીમાં બંધ પાકિસ્તાનીઓનો ઉપયોગ કરીને ખોટો ડ્રામા રચવાની યોજના બનાવી રહ્યું છે. ગયા વર્ષની જેમ આ વખતે ભારતને વધુ શરમનો સામનો કરવો પડશે. આસિફે આગળ એ પણ કહ્યું કે મૃતદેહોને ક્યાંક રાખીને પાકિસ્તાન પર આતંકવાદનો આરોપ લગાવી શકાય છે, પરંતુ તેમણે આ દાવા માટે કોઈ પુરાવો આપ્યો નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. કોંગ્રેસે કહ્યું- આસામ CMની પત્નીના 3 પાસપોર્ટ:પૂછ્યું- ₹52000 કરોડ ક્યાંથી આવ્યા; હિમંતા વિદેશ ભાગી જશે, CMનો જવાબ- માનહાનિનો કેસ કરીશું કોંગ્રેસે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાની પત્ની રિન્કી ભુઈયાં સરમા પર બેવડી નાગરિકતાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ રવિવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે આસામના મુખ્યમંત્રીની પત્ની પાસે ત્રણ દેશો ઇજિપ્ત, એન્ટિગુઆ-બાર્બુડા અને UAEના પાસપોર્ટ છે. પવન ખેડાએ કોન્ફરન્સમાં ત્રણ પાસપોર્ટ પણ બતાવ્યા. તેમણે કહ્યું કે સરમાની રાજનીતિ મુસ્લિમો વિરુદ્ધ નફરત પર આધારિત છે, જ્યારે તેમની પત્ની પાસે બે મુસ્લિમ દેશોના પાસપોર્ટ છે. તેમણે આગળ કહ્યું કે હિમંતાની પત્ની 52 હજાર કરોડ રૂપિયાની અમેરિકી કંપનીની પણ માલિક છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ‘આ તો ટ્રેલર છે, પિક્ચર તો હજુ બાકી છે’:રાઘવ ચઢ્ઢાએ કહ્યું- એક જૂઠ્ઠાણાને 100 વાર બોલવાથી લોકો તેને સાચું ન માની લે, એટલે જ હું જવાબ આપી રહ્યો છું આમ આદમી પાર્ટી (AAP) સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાઘવ ચઢ્ઢાએ નવી પોસ્ટ શેર કરી છે. તેમાં તેમણે લખ્યું છે - મારા તે સહયોગીઓ માટે જેઓ મજબૂર થઈને વીડિયો જાહેર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે રાઘવ ચઢ્ઢા સંસદમાં પંજાબના મુદ્દા ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા. તેમના માટે એક નાની ઝલક. કહાની હજી બાકી છે. ચઢ્ઢાએ વધુમાં લખ્યું - પંજાબ મારા માટે માત્ર એક વિષય નથી. આ મારું ઘર છે, મારું કર્તવ્ય છે, મારી માટી છે, મારો આત્મા છે. રાઘવે આ પોસ્ટ સાથે એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં તેમણે સંસદમાં પોતાની સ્પીચ બતાવી છે. આમાં ચઢ્ઢા પંજાબના મુદ્દા ઉઠાવતા સાંભળાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. પાકિસ્તાનની ગેંગનો વોન્ટેડ આરોપી ઝડપાયો:ISIનું કામ કરતી ગેંગમાં રહી ભારતમાં પોલીસ સ્ટેશન-સુરક્ષા એજન્સીના એકમો પર વિસ્ફોટ કરાવતો; ડીસાના ઢાબામાં મજૂરી કરતો હતો ગુજરાત ATS અને બનાસકાંઠા SOGએ સંયુક્ત ઓપરેશન કરીને પાકિસ્તાની ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટી ગેંગના સભ્ય અને ભારતના પંજાબ રાજ્યના ગ્રેનેડ કેસમાં વોન્ટેડ બિક્રમજીતસિંઘની ડીસામાંથી ધરપકડ કરી છે. આરોપી ગ્રેનેડની સપ્લાય અને સુરક્ષા એજન્સીઓના એકમો ઉપર ગ્રેનેડ મારફતે વિસ્ફોટ કરાવવાનું કામ કરાવતો હતો. હાલ આરોપી કેટલાક સમયથી ડીસા ખાતે એક ઢાબામાં છૂટક મજૂરી કામ કરી રહ્યો હતો. આરોપીની ધરપકડ કરી ATSએ વધુ તપાસ હાથ ધરી છે. પંજાબ પોલીસે ગુજરાત ATSને વોન્ટેડ આરોપીની માહિતી શેર કરી હતી. જેના પર કામ કરીને તપાસ કરતા વોન્ટેડ આરોપી બિક્રમજીતસિંહ છે જે હાલ ડીસા ખાતે એક ઢાબામાં છૂટક મજૂરી કામ કરતો હોવાની માહિતી મળી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'છાતી ઠોકીને કહું છું મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા':ખેડા ભાજપ પૂર્વ પ્રમુખ વિપુલ પટેલનો જાહેર મંચ પરથી એકરાર; વાયરલ વીડિયોએ વિવાદનો મધપૂડો છંછેડ્યો નડિયાદની પાવન ધરા પર આયોજિત એક જાહેર કાર્યક્રમ દરમિયાન ખેડા જિલ્લાના કદાવર રાજકીય નેતા વિપુલ પટેલે આપેલા વિવાદાસ્પદ નિવેદને રાજકીય ગરમાવો તેજ કરી દીધો છે. તેમણે જાહેરમાં હિંમતપૂર્વક એવો એકરાર કર્યો કે તેઓ છાતી ઠોકીને કહે છે કે તેમણે રાજકારણમાં રહીને અઢળક રૂપિયા બનાવ્યા છે. આ નિવેદન વાયુવેગે પ્રસરતા જ સમગ્ર જિલ્લાના રાજકીય વર્તુળોમાં તરેહ-તરેહની ચર્ચાઓ અને અચરજની લાગણી જોવા મળી રહી છે. આ સનસનાટીભરી ઘટના નડિયાદ એરિયા કોલેજીસ રિટાયર્ડ સ્ટાફ એસોસિએશનના રજત જયંતી મહોત્સવના ઝગમગાટ વચ્ચે ઘટી હતી. આ ગરિમાપૂર્ણ અવસરે વિપુલ પટેલ મુખ્ય અતિથિ તરીકે મંચસ્થ હતા. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલ : અમદાવાદ પ્લેન દુર્ઘટનાના પીડિત પરિવારોનો PMને પત્ર:કહ્યું- અમે પૈસા નહીં, અકસ્માતનું કારણ જાણવા માંગીએ છીએ; બ્લેક બોક્સ ડેટાની માગ વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઈન્ટરનેશનલ : દાવો- એપસ્ટીન અને અનિલ અંબાણી વચ્ચે સેંકડો મેસેજ-ઈમેલ થયા:યૌન અપરાધીએ પોતાને વ્હાઇટ હાઉસનો ઇનસાઇડર ગણાવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 3. નેશનલ : શંકરાચાર્ય બોલ્યા- મોહન ભાગવત લગ્ન કરીને બાળકો કેમ નથી કરતા:પહેલા પોતે કરો, પછી બીજાને કહો, ગૌ-માતાની રક્ષા માટે કાયદો બનાવો, વાંચો સંપૂર્ણ સમાચાર 4. ઈન્ટરનેશનલ : ઈરાનના પહાડોમાં છુપાયો હતો અમેરિકન પાઈલટ:36 કલાકમાં દુશ્મનોની વચ્ચેથી બચાવાયો, ટ્રમ્પે કહ્યું- આ ઇતિહાસનું સૌથી સાહસિક રેસ્ક્યુ ઓપરેશન વાંચો સંપૂર્ણ સમાચાર 5. બિઝનેસ : RBI મીટિંગમાં વ્યાજ દરમાં ફેરફારની શક્યતા ઓછી:SBI રિસર્ચ- ગ્લોબલ નિશ્ચિતતા અને ક્રૂડ ઓઇલના ભાવ તેનું કારણ, હાલમાં રેપો રેટ 5.25% વાંચો સંપૂર્ણ સમાચાર 6. સ્પોર્ટ્સ : ચહલનો સુંદર યુવતીઓ સાથે VIDEO VIRAL:અર્શદીપે ગર્લફ્રેન્ડનો હાથ પકડી ફોટો પાડ્યો?; 'ચંપક'ને જાડેજાએ કાખમાં તેડ્યો, રોહિતે જબરા ઈશારા કર્યા વાંચો સંપૂર્ણ સમાચાર 7. ધર્મ તહેવાર જ્યોતિષ : દૃષ્ટિકોણ બદલો, ભાગ્ય બદલાશે:ત્રણ શ્રમિકોની વાર્તામાં છૂપાયેલું છે જીવનનું સાચું રહસ્ય, જાણો પ્રેરણાદાયી કથા વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ શખ્સના ઘરે આવ્યું ₹78 કરોડનું લાઈટ બિલ હરિયાણાના નારનૌલમાં પુનીત બુલાનાના ઘરે 78 કરોડ 92 લાખ રૂપિયાનું વીજળી બિલ આવ્યું છે. માત્ર 6 દિવસના રીડિંગમાં 9 કરોડથી વધુ યુનિટ દેખાયા હતા. ફરિયાદ બાદ વીજ વિભાગે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: 'પ્લાન SERE' શું છે, જેના કારણે ઈરાનમાં 36 કલાક જીવતો રહ્યો પાયલટ; અમેરિકાએ રેસ્ક્યુમાં પોતાના જ 2 પ્લેન કેમ નષ્ટ કર્યા 2. સન્ડે બિગ સ્ટોરી : તમારા સુધી કેવી રીતે પહોંચે છે ગેસ અને પેટ્રોલ-ડીઝલ?: ગુજરાતના 3 પોર્ટ પર આવે છે ક્રૂડ ઓઇલ, વિદેશથી આયાતની આખી ચેઇન સમજો 3. ખાખી કવર : ઇન્દોરના રાજાએ રખાત માટે મુંબઈના સૌથી ધનાઢ્ય માણસની હત્યા કરાવી: મોહમ્મદ અલી ઝીણાએ કેસ લડ્યો, મહારાજા ફાંસીથી બચ્યા, પણ ગાદી ગઈ 4. હિન્દુ રાજા પયગંબરને મળ્યા, ભારતની પહેલી મસ્જિદ બનાવી: પયગંબરને આદુનું અથાણું આપીને મુસલમાન બન્યા; મસ્જિદની 13 સીટ પર અસર 5. કેપ્ટન બાબાનું 18 કરોડનું ફાર્મહાઉસ સીલ, મંદિર ખાલીખમ: દીકરો અરેસ્ટ, પત્ની ફરાર; ભાઈ બોલ્યો- પરિવારને બદનામ કરી નાખ્યો 6. સંડે જઝબાત: કાશ્મીરી મુસલમાન સાથે લગ્ન કર્યા, વિદેશમાં તરછોડી: સાવકા પિતાએ મને ઘરમાંથી કાઢી, મમ્મીએ પણ દરવાજા બંધ કરી દીધા કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ:સિંહ રાશિના જાતકોને કરિયર માટે સુવર્ણ દિવસ, નવા સંપર્કોથી વૃશ્ચિક જાતકોને આર્થિક લાભ થશે વાંચો સંપૂર્ણ રાશિફળ
કેરળમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલા એક નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ખડગેએ પોતાના ભાષણમાં ટિપ્પણી કરી હતી કે, મોદીજી તમે અભણ ગુજરતીઓને મૂર્ખ બનાવી શકો, કેરળના લોકોને નહીં. આ નિવેદન સામે આવતા જ ભારતીય જનતા પાર્ટી આક્રમક બની છે અને કોંગ્રેસ પર 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ચૂંટણીના માહોલ વચ્ચે ખડગેના આ નિવેદને ભાજપને કોંગ્રેસ પર પ્રહાર કરવાનું વધુ એક મોટું હથિયાર આપી દીધું છે. ખડગેએ ગુજરાતીઓ વિશે શું કહ્યું હતું ? મલ્લિકાર્જુન ખડગેએ 5 એપ્રિલે રવિવારે ઈડુક્કીમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર ભાષણ દરમિયાન એક કથિત વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ગુજરાતના લોકોને અભણ ગણાવ્યા હતા અને તેમના મતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને મૂર્ખ બનાવી રહ્યા છે. ખડગેએ કહ્યું હતું કે મોદી કે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી, કારણ કે તેઓ ખૂબ જ સ્માર્ટ અને શિક્ષિત છે. ખડગેએ ગુજરાતીઓ વિશે કહ્યું હતું, કેરળના લોકોને ગેરમાર્ગે ન દોરો. તેઓ ખૂબ જ સ્માર્ટ અને શિક્ષિત છે. મોદીજી, વિજયન - તમે બંને ગુજરાત અથવા અન્ય સ્થળોએ અભણ લોકોને મૂર્ખ બનાવી શકો છો, પરંતુ તમે કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી. આ 6.5 કરોડ ગુજરાતીઓનું ઘોર અપમાન : ભાજપભાજપના પ્રદેશ સહ-પ્રવક્તા અને સાંસદ ધવલ પટેલે એક વીડિયો સંદેશ જાહેર કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતની જનતાને 'અભણ' કહીને સમગ્ર રાજ્યનું ઘોર અપમાન કર્યું છે. ધવલ પટેલે જણાવ્યું કે, “કોંગ્રેસના નેતાઓના મનમાં ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે જે નફરત ભરેલી છે, તે ફરી એકવાર બહાર આવી છે. તેઓ એવું માને છે કે ગુજરાતીઓ અભણ છે અને એટલે જ વારંવાર ભાજપને મત આપે છે, જે રાજ્યની જનતાનું સીધું અપમાન છે.” ગુજરાતીઓનું અપમાન કરવાની કોંગ્રેસની જૂની પરંપરા : ધવલ પટેલસાંસદ ધવલ પટેલે આ ઘટનાને કોંગ્રેસની માનસિકતા સાથે જોડતા આરોપ લગાવ્યો કે ગુજરાતીઓનું અપમાન કરવાની કોંગ્રેસની જૂની પરંપરા રહી છે. તેમણે કેટલીક ઐતિહાસિક ઘટનાઓનો હવાલો આપતા નીચે મુજબના દાવા કર્યા હતા કે જવાહરલાલ નેહરુએ સરદાર વલ્લભભાઈ પટેલને દેશના વડાપ્રધાન બનતા અટકાવ્યા હતા. ઇન્દિરા ગાંધીએ મોરારજી દેસાઈને તેમના પદ પરથી હટાવ્યા હતા. અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આસામમાં તમામ ગુજરાતીઓને 'કૌભાંડી' કહ્યા હતા. આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે- મુખ્યમંત્રીઆ સમગ્ર મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ પણ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, “કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતના લોકો અંગે આપવામાં આવેલું નિવેદન અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. આ પ્રકારની ટિપ્પણી માત્ર 6 કરોડ ગુજરાતીઓનું અપમાન જ નહીં, પરંતુ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી મહાન વ્યક્તિઓની પવિત્ર ધરતીની ગૌરવને પણ ઠેસ પહોંચાડે છે. ગુજરાતે હંમેશા રાષ્ટ્ર નિર્માણ, વિકાસ અને એકતામાં અગ્રણી ભૂમિકા ભજવી છે અને આગળ પણ ભજવશે. આવા નિવેદનો કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં ભાજપની વિકાસની રાજનીતિને મળતા વ્યાપક જનસમર્થનથી કોંગ્રેસ અસ્વસ્થ અનુભવે છે. ગુજરાતની જાગૃત જનતા આવા નિવેદનોનો યોગ્ય જવાબ આપશે અને આવનારા સમયમાં કેરળ ની જનતા પણ કોંગ્રેસને નકારી દેશે.” આ સમગ્ર રાજ્યના ગૌરવ પર હુમલો- જગદીશ વિશ્વકર્માઆ મુદ્દે ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ પણ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, “ખડગેનું નિવેદન માત્ર ગુજરાતીઓ નહીં પરંતુ સમગ્ર રાજ્યના ગૌરવ પર હુમલો છે. ગુજરાતના લોકો મહેનતુ, ઉદ્યોગસાહસિક અને રાષ્ટ્રીય વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર છે. કોંગ્રેસ નેતાઓ દ્વારા વારંવાર થતા આવા નિવેદનો તેમની જનવિમુખતા દર્શાવે છે.” ભાજપ દ્વારા આ મુદ્દે કોંગ્રેસને માફી માંગવાની માંગ ઉઠાવવામાં આવી છે, જ્યારે રાજકીય વર્તુળોમાં આ નિવેદનને લઈને ચર્ચાઓ તેજ બની છે. આવનારા સમયમાં આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે, કારણ કે બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો વધુ તેજ બન્યો છે. ભાજપ દ્વારા આ મુદ્દે કોંગ્રેસ પાસે માફી માંગવાની માંગ ઉઠાવવામાં આવી છે, જ્યારે રાજકીય વર્તુળોમાં આ નિવેદનને લઈને ચર્ચાઓ વધુ તેજ બની છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓને સીધો સવાલ આ વિવાદમાં ધવલ પટેલે ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અમિત ચાવડા અને તુષાર ચૌધરીને પણ ઘેર્યા છે. તેમણે આ બંને નેતાઓને સીધો સવાલ કર્યો છે કે, જ્યારે તમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતીઓને અપમાનિત કરે છે, ત્યારે તમે કેમ મૌન છો? તેમણે વધુમાં પૂછ્યું કે સ્થાનિક નેતાઓ ગુજરાતની જનતાની પડખે છે કે ગુજરાતીઓનું અપમાન કરનાર કોંગ્રેસ નેતૃત્વની સાથે? ધવલ પટેલે એવી પણ ચેતવણી આપી છે કે જો ગુજરાત કોંગ્રેસ આ નિવેદનનો જાહેરમાં વિરોધ નહીં કરે, તો એ સાબિત થઈ જશે કે તેઓ પણ ગુજરાતીઓ પ્રત્યે નફરતની ભાવના રાખે છે.
ખડગેના “ગુજરાતીઓ અભણ” નિવેદનથી રાજકીય ગરમાવો:ભાજપના પ્રહાર, ગુજરાતમાં ચૂંટણી સમયે જ કોંગ્રેસ ઘેરાઈ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને લઈને આપેલ “અભણ” જેવા નિવેદન બાદ રાજ્યના રાજકારણમાં ભારે ઉથલપાથલ સર્જાઈ છે. આ નિવેદનને લઈને ગુજરાત ભાજપમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રદેશ ભાજપાના સહપ્રવક્તા અને વલસાડના સાંસદ ધવલ પટેલે કડક પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “ગુજરાતીઓની બુદ્ધિ અને પરિશ્રમથી દેશને વૈશ્વિક ઓળખ મળી છે, ત્યારે આવા અપમાનજનક શબ્દો કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે કોંગ્રેસ સતત ગુજરાત અને ગુજરાતીઓનો અપમાન કરતી આવી છે, જે જનતા ક્યારેય સ્વીકારશે નહીં. આ સમગ્ર રાજ્યના ગૌરવ પર હુમલો- જગદીશ વિશ્વકર્માઆ મુદ્દે ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ પણ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, “ખડગેનું નિવેદન માત્ર ગુજરાતીઓ નહીં પરંતુ સમગ્ર રાજ્યના ગૌરવ પર હુમલો છે. ગુજરાતના લોકો મહેનતુ, ઉદ્યોગસાહસિક અને રાષ્ટ્રીય વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર છે. કોંગ્રેસ નેતાઓ દ્વારા વારંવાર થતા આવા નિવેદનો તેમની જનવિમુખતા દર્શાવે છે.” ભાજપ દ્વારા આ મુદ્દે કોંગ્રેસને માફી માંગવાની માંગ ઉઠાવવામાં આવી છે, જ્યારે રાજકીય વર્તુળોમાં આ નિવેદનને લઈને ચર્ચાઓ તેજ બની છે. આવનારા સમયમાં આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે, કારણ કે બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો વધુ તેજ બન્યો છે.
ગુજરાતમાં આગામી 2026ની સ્થાનિક સ્વરાજ્ની ચૂંટણીઓનો પડઘમ વાગી ચુક્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભાવનગર મહાનગરપાલિકા માટેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં મનપાના અલગ-અલગ વોર્ડ માટે કુલ 25 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે,જેમાં 7 ઉમેદવારનો રિપીટ કરવામાં આવ્યા અને 18 નવા ચહેરાની પસંદગી કરવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ શહેર કોગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના 13 વોર્ડમાંથી અલગ અલગ વોર્ડમાં નામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં વોર્ડ નંબર 1 માંથી 3 નામો, વોર્ડ નંબર 2 માંથી 1 નામ, વોર્ડ નંબર 3માંથી 1 નામ, વોર્ડ નંબર 4 માંથી 2 નામ, વોર્ડ નંબર 5 માંથી 3 નામ, વોર્ડ નંબર 7 માંથી 2 નામ, વોર્ડ નંબર 8 માંથી 2 નામ, વોર્ડ નંબર 9 માંથી 3 નામો, વોર્ડ નંબર 10 માંથી 2 નામ તથા વોર્ડ નંબર 12 માંથી 3 નામ વોર્ડ નંબર 13 માંથી 3 નામો જાહેર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઉમેદવારની પ્રથમ નામની યાદી જાહેર કરવામાં આવી જેમાં ભાવનગર મહાનગર પાલિકાના 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે જેમાં 25 પૈકી 7 ઉમેદવારો જેમાં જયદીપસિંહ ગોહિલ, ભૂમિબેન ગોહિલ, કાંતિભાઈ ગોહિલ, રહીમભાઈ કુરેશી, ભરતભાઇ બુધેલીયા, જસુબેન બારૈયા, શબાનાબેન ખોખર ને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય 18 નવા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા પ્રથમ મનપાના ઉમેદવારોની બે યાદી જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ શહેર કોગ્રેસ દ્વારા આજરોજ પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અલગ-અલગ વોર્ડના 25 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરતા સ્થાનિક કક્ષાએ ચૂંટણી લડવા માટે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
જૂનાગઢ જિલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશિયલ મીડિયાના દુરુપયોગ અને સગીર વયની બાળકીઓને નિશાન બનાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મિત્રતા કેળવીને એક માસૂમ સગીરાને પોતાની જાળમાં ફસાવનાર અને તેને લગ્ન માટે મજબૂર કરી અપહરણ કરવાનું કાવતરું ઘડનારા શખ્સો સામે પોલીસે લાલ આંખ કરી છે. ભેસાણ પોલીસે ઇન્સ્ટાગ્રામ પર સગીરાને પ્રેમજાળમાં ફસાવી, તેના ભાઈના અપહરણની ધમકી આપી લગ્ન માટે દબાણ કરનારા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. હર્ષિત વઘાસિયા, પરેશ રાદડિયા અને મીત ઉધાડ નામના શખ્સોએ સગીરાની નાસમજીનો લાભ ઉઠાવી તેને સુરત ભગાડવાનું કાવતરું ઘડ્યું હતું. આ માટે મીત ઉધાડએ ટ્રાવેલ્સની વ્યવસ્થા કરી આપી હતી, પરંતુ પરિવારની સતર્કતાને કારણે સગીરા સુરત પહોંચતા જ તેના માસીને સુરક્ષિત સોંપી દેવામાં આવી હતી. પોલીસે પોક્સો અને BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી હર્ષિત અને પરેશની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે ભેસાણ પોલીસ મથકમાં પોક્સો એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનાના ત્રણેય શખ્સોએ સુનિયોજિત રીતે ઇન્સ્ટાગ્રામ પર ભોગ બનનાર સગીરાનો સંપર્ક કર્યો હતો. તેઓ સારી રીતે જાણતા હતા કે યુવતી હજુ સગીર વયની છે અને તેની સમજણ શક્તિ ઓછી છે, તેમ છતાં તેની 'બાળક બુદ્ધિ'નો અયોગ્ય લાભ ઉઠાવવાના બદઇરાદે તેની સાથે પ્રેમસંબંધ બાંધવા માટે લલચાવી હતી. આરોપીઓની મોડસ ઓપરેન્ડી અત્યંત ભયાનક હતી કારણ કે તેઓ માત્ર પ્રેમની વાતો નહોતા કરતા પણ સગીરાને માનસિક રીતે તોડી નાખવા માટે ધમકીઓનો સહારો લેતા હતા. આરોપીઓ સગીરા પર લગ્ન કરવા માટે સતત દબાણ કરતા હતા અને જો તે તેમની વાત ન માને તો તેના નાના ભાઈનું અપહરણ કરી લેવાની ધમકી આપીને તેને ડરાવતા હતા. આટલું ઓછું હોય તેમ, આરોપીઓએ સગીરાને એવું પણ કહ્યું હતું કે તેઓ તેને અન્ય કોઈ પણ જગ્યાએ સગાઈ કે લગ્ન કરવા દેશે નહીં. આ પ્રકારના માનસિક ત્રાસ અને ભયના ઓથાર હેઠળ સગીરાને મજબૂર કરવામાં આવી હતી. આ ગુનાહિત કાવતરાને અંજામ આપવા માટે આરોપીઓએ પૂરેપૂરું આયોજન કર્યું હતું. આરોપી મીત ઉધાડએ સગીરાને તેના ઘરથી સુરત મોકલવા માટે ખાનગી ટ્રાવેલ્સની વ્યવસ્થા કરી આપી હતી જેથી તેને પરિવારથી દૂર કરી શકાય. જોકે, આ બાબતની જાણ સમયસર સગીરાના માતા-પિતાને થઈ ગઈ હતી. પરિવારે સમયસૂચકતા વાપરીને સુરતમાં રહેતા તેમના સંબંધી માસીનો સંપર્ક કર્યો હતો. જ્યારે સગીરા સુરત પહોંચી ત્યારે તેને સુરક્ષિત રીતે તેના માસીને સોંપી દેવામાં આવી હતી, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના ઘટતી અટકી ગઈ હતી. હાલમાં પોલીસે હર્ષિત વઘાસિયા અને પરેશ રાદડિયાની ધરપકડ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે અન્ય એક આરોપી મીત ઉધાડને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે સગીરા સાથે અન્ય કોઈ પણ પ્રકારનું શારીરિક શોષણ કે અઘટિત ઘટના બની છે કે કેમ. આ ઘટના સમાજ અને વાલીઓ માટે એક ચેતવણી સમાન છે. આજના ડિજિટલ યુગમાં બાળકોના હાથમાં મોબાઈલ અને સોશિયલ મીડિયા હોવું અનિવાર્ય બની ગયું છે, પરંતુ તેના કારણે સર્જાતા જોખમો પણ તેટલા જ વધ્યા છે. અજાણી વ્યક્તિઓ સાથેની ઓનલાઇન મિત્રતા કેવી રીતે અપરાધમાં પરિવર્તિત થાય છે તેનું આ ઉદાહરણ છે
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. ફોર્મ ભરાવાની શરૂઆત થાય તે પહેલા જ ગુજરાત કોંગ્રેસ દ્વારા સાત જેટલી મહાનગરપાલિકાઓમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટલાક નામની પહેલી યાદીમાં જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 32 વોર્ડમાં 92 ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારના નામની જાહેરાત બાદ કોઈ વિવાદ ન સર્જાય તેવા જ વોર્ડમાં ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જે વોર્ડમાં ઉમેદવારની પસંદગીને લઈને ખેંચતાણ ચાલી રહી છે તેવા ઉમેદવાર નામની જાહેરાત હવે પછીના લિસ્ટમાં કરવામાં આવશે. કોંગ્રેસે ભાજપ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉમેદવારના નામની જાહેરાત કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 48 વોર્ડમાંથી માત્ર 32 વોર્ડ પરના જ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 12 વોર્ડમાં આખી પેનલ જાહેર કરી દેવામાં આવી છે. મહત્વની વાત છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, ઉપનેતા નીરવ બક્ષી, દંડક જગદીશભાઈ રાઠોડ અને પૂર્વ કોર્પોરેટર રાજશ્રી કેસરીને રીપીટ કરવામાં આવ્યા છે. પહેલી યાદીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કુલ 92 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં 42 મહિલા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વૉર્ડમાંથી 32 વોર્ડમાં ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગોતામાં 2, ચાંદલોડિયા 3, ચાંદખેડા 1, સાબરમતી 2, રાણીપ 4, નવા વાડજ 4, ઘાટલોડીયા 4, થલતેજ 4, નારણપુરા 4, સરદાર પટેલ સ્ટેડિયમ 1, સરદાર નગર 4, નરોડા 2, સૈજપુર બોઘા 2, શાહીબાગ 3, નવરંગપુરા 3, બોડકદેવ 4, દરિયાપુર 1, ઇન્ડિયા કોલોની 2, ઠક્કરબાપાનગર 4, ખાડિયા 3, પાલડી 4, વેજલપુર 3, મણિનગર 3, અમરાઈવાડી 3, ઓઢવ 4, વસ્ત્રાલ 2, ઇન્દ્રપુરી 4, હાટકેશ્વર 4, લાંભા 1, વટવા 3, રામોલમાં 2 ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ બેઠક અને ઉમેદવાર એવા છે જેની જાહેરાત બાદ કોઈપણ વિવાદ સર્જાય તેમ નથી જેથી તેવા નામની જ જાહેરાત પહેલી યાદીમાં કરવામાં આવી છે. શહેર સંગઠન દ્વારા તમામ બેઠક પર પેનલ તૈયાર કરવામાં આવી છે. જે બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ સહ પ્રભારીની ઉપસ્થિતિમાં બેઠક યોજીને નિર્વિવાદિત બેઠક પરના ઉમેદવારના નામ નક્કી કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે અમિત શાહના મત વિસ્તારમાં આવતા વોર્ડમાં આખી પેનલની જાહેરાત કરવામાં આવી છે. જો કે તે તમામ બેઠક પર સૌથી ઓછા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જેથી ઉમેદવારના નામને લઈને કોઈ વિવાદ ન હોવાથી તેવા નામની જાહેરાત પહેલા કરવામાં આવી છે. હવે વિવાદિત બેઠક પરના નામ પર ફરી ચર્ચા કરી તેની જાહેરાત આગામી દિવસમાં કરવામાં આવશે.
હળવદના ટીકર ગામે યુવાન પર છરી વડે હુમલો:ગંભીર ઈજા થતા અમદાવાદ સારવાર માટે ખસેડાયો
હળવદ તાલુકાના ટીકર ગામે રવિવારે બપોરે એક યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવાનને પેટના ભાગે ગંભીર ઈજા થતા તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. હળવદ તાલુકા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટીકર ગામે રહેતા વારિસભાઈ કગથરાના 19 વર્ષીય પુત્ર અયાજ કગથરાને રવિવારે બપોરે 12 વાગ્યાના અરસામાં ગામમાં આવેલી બેંક સામેની એક દુકાન પાસે બોલાવવામાં આવ્યો હતો. ત્યાં કોઈ અજાણ્યા કારણોસર એક વ્યક્તિએ તેના પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં અયાજ કગથરાને પેટના ભાગે છરીનો ઊંડો ઘા વાગ્યો હતો, જેના કારણે તેના આંતરડા બહાર આવી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા અયાજને તાત્કાલિક હળવદ અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો છે. અયાજ કગથરા ગામમાં ઇલેક્ટ્રિકની દુકાન ધરાવે છે અને ઇલેક્ટ્રિક કામ કરે છે. આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવાન પર કયા કારણોસર અને કોણે હુમલો કર્યો તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.
વાપી રેલવે સ્ટેશન પર રવિવારે રાત્રે એક મોટી દુર્ઘટના ટળતા RPFના બે જવાનોની સતર્કતાએ એક મુસાફરનો જીવ બચાવ્યો હતો. ચાલુ ટ્રેને ઉતરવાનો પ્રયાસ કરતા મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના જીવલેણ ગેપમાં ફસાઈ ગયો હતો. આ ઘટના રવિવારે રાત્રે લગભગ 10:24 કલાકે બની હતી. ટ્રેન નંબર 09058 પ્લેટફોર્મ નંબર-1 પરથી ઉપડી રહી હતી. જનરલ કોચમાં સવાર એક મુસાફરને ટ્રેન ખોટી હોવાનું જણાતા તેણે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રેન ગતિ પકડી રહી હોવાથી મુસાફરનું સંતુલન બગડ્યું હતું. તે સીધો ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ખાડામાં પડવાની અણી પર હતો, જે જીવલેણ સાબિત થઈ શક્યું હોત. પ્લેટફોર્મ પર ફરજ બજાવી રહેલા RPF કોન્સ્ટેબલ મહેશ કુમાર અને સુરેશ કસ્વાએ આ દ્રશ્ય જોયું હતું. એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના, બંને જવાનોએ ઝડપથી દોડીને મુસાફરને ખેંચી લીધો અને તેને સુરક્ષિત રીતે પ્લેટફોર્મ પર લાવ્યા. બચાવવામાં આવેલા મુસાફરનું નામ લક્ષ્મણલાલ અચલારામ (ઉંમર 46, રહેવાસી શિરોહી, રાજસ્થાન) છે. તેને અમદાવાદ જવું હતું, પરંતુ અન્ય મુસાફરોએ ટ્રેન ઉધના જશે તેમ કહેતા તે ગભરાઈને ચાલુ ટ્રેને ઉતરવા ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં જવાનોની બહાદુરી સ્પષ્ટ દેખાઈ રહી છે. લક્ષ્મણ લાલે રડતી આંખે RPF વાપીનો આભાર માન્યો હતો. ઉચ્ચ અધિકારીઓએ પણ બંને કોન્સ્ટેબલોની આ કામગીરીને બિરદાવી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામ્યો છે, ત્યારે સુરત મહાનગરપાલિકા કબજે કરવા માટે કોંગ્રેસ પક્ષે પોતાની પ્રથમ વ્યૂહરચનાના ભાગરૂપે મહત્વના વોર્ડ માટે ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે. આ યાદીમાં પક્ષે વર્ષોથી પાયાના સ્તરે કામ કરતા કાર્યકરો, મહિલા પ્રતિનિધિઓ અને અનુભવી ચહેરાઓને સ્થાન આપીને ભાજપ અને આપ સામે મજબૂત મોરચો માંડ્યો છે. નવા અને જૂના ચહેરાઓનું સંતુલનકોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં ખાસ કરીને તે વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જ્યાં જ્ઞાતિગત સમીકરણો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. વોર્ડ નં. 1 (રાંદેર-જહાંગીરાબાદ વિસ્તાર):આ વોર્ડમાં પક્ષે ચાર સક્ષમ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જેમાં પ્રતિમાબેન બાબુલાલ પઢિયારી અને આશાબેન વિનોદભાઈ સોનાવિયા મહિલા પ્રતિનિધિત્વ સંભાળશે, જ્યારે બોની જગદીશભાઈ પટેલ અને કલ્પેશકુમાર સુરેશભાઈ રાણા યુવા અને સક્રિય કાર્યકર તરીકે મતદારો વચ્ચે જશે. આ વિસ્તારમાં પઢીયાર અને રાણા સમાજનું વર્ચસ્વ જોતા આ પસંદગી મહત્વની મનાય છે. વોર્ડ નં. 4 અને 5પાટીદાર અને શ્રમજીવી વર્ગના પ્રભુત્વ ધરાવતા આ વિસ્તારોમાં કોંગ્રેસે મહિલા શક્તિ પર ભરોસો મૂક્યો છે. વોર્ડ નં. 4 માં રેખાબેન ભાલીયા અને મમતાબેન સવાણીની પસંદગી કરવામાં આવી છે. જ્યારે વોર્ડ નં. 5 માં કલ્પનાબેન ગુર્જર, નીલમબેન વઘાસીયા અને વિપુલભાઈ સેખડાને ટિકિટ આપીને પક્ષે શિક્ષિત અને સ્થાનિક સ્તરે લોકપ્રિય ચહેરાઓને પ્રાધાન્ય આપ્યું છે. લઘુમતી અને મિશ્ર વસ્તી ધરાવતા વોર્ડ પર વિશેષ ધ્યાનસુરતના રાજકારણમાં લઘુમતી મતદારો હંમેશા નિર્ણાયક રહ્યા છે. વોર્ડ નં. 9 માંથી મોહમ્મદ સોહેલ મોહમ્મદ અમીન શેખ અને વોર્ડ નં. 13 માંથી રેહાના સઈદ સૈયદના નામની જાહેરાત કરીને કોંગ્રેસે પોતાના પરંપરાગત મતોને અકબંધ રાખવાનો પ્રયાસ કર્યો છે. તેવી જ રીતે, વોર્ડ નં. 18 માં પક્ષે સૌથી વધુ વૈવિધ્યસભર પેનલ ઉતારી છે. અહીં સંજય રામાધાર રામાનંદી, ખુમાનસિંહ દરજીવત, પ્રકૃતિબેન રાઠોડ અને મુનવ્વરજહાં રહેમાન શેખને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ પેનલ દર્શાવે છે કે પક્ષે હિન્દુ-મુસ્લિમ અને અન્ય પરપ્રાંતીય મતો મેળવવા માટે સર્વસમાવેશક વ્યૂહરચના અપનાવી છે.
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી લક્ષી તૈયારીઓના ભાગરૂપે ઉમેદવારોની પ્રથમ યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસે પ્રથમ તબક્કે કુલ 18 વોર્ડના 40 ઉમેદવારોના નામ પર મહોર મારી છે. રાજકોટ મનપાની કુલ 72 બેઠકોમાંથી અત્યારે 40 બેઠકોના નામ સ્પષ્ટ કરી દેવામાં આવ્યા છે. જેમાં ભાજપમાંથી સસ્પેન્ડ થયેલ દેવુબેન જાદવને પણ ટિકિટ આપતા રાજકારણ ગરમાયુ છે. બાકી રહેલી 32 બેઠકો પરના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલુ હોવાથી તેના નામ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. આ તકે કોંગ્રેસ કાર્યાલય ખાતે મીઠાઈઓ ખાઈને ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા આજે જાહેર કરવામાં આવેલી યાદીમાં જ્ઞાતિ સમીકરણો પણ સાચવી લેવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે. કોંગ્રેસે જાહેર કરેલા નામોમાં કુલ 6 પાટીદાર ઉમેદવારો 4 ક્ષત્રિય ઉમેદવારો, 3 રબારી ઉમેદવારો, 2 બ્રાહ્મણ ઉમેદવારો અને 2 મુસ્લિમ સમાજના ઉમેદવારોને પણ સ્થાન આપીને તમામ જ્ઞાતિઓને સાચવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હાલ કોંગ્રેસ દ્વારા 40 ઉમેદવારો જાહેર કરાયા છે. ટૂંક સમયમાં બીજી યાદી આવશે જેમાં બાકીના 32 નામોની જાહેરાત કરવામાં આવશે. પ્રજા ભાજપના ભ્રષ્ટાચારથી ત્રાહિમામ પોકારી ચુકી હોવાથી કોંગ્રેસની જીત નિશ્ચિત છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલ યાદીમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ 6 માં જોવા મળ્યો છે. ભાજપ દ્વારા જેમને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેવા દેવુબેન જાદવને કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024 માં દેવુબેન જાદવના પતિ મનસુખભાઈ જાદવ વિરુદ્ધ ગેરકાયદેસર રીતે આવાસ મેળવવાના ગંભીર આક્ષેપો થયા હતા, જેના પગલે ભાજપે શિસ્તભંગના પગલાં ભરી તેમને સસ્પેન્ડ કર્યા હતા. માત્ર બે દિવસ પૂર્વે જ દેવુબેન જાદવ અને મનસુખભાઈ જાદવ પોતાના વિશાળ સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા અને પક્ષે તાત્કાલિક તેમને વોર્ડ 6 માંથી ટિકિટ આપીને રાજકીય ગરમાવો વધાર્યો છે. કોંગ્રેસની યાદીમાં વિવિધ વોર્ડના ઉમેદવારોની વિગત વોર્ડ 1રમેશ જુંજા વોર્ડ 2ગીતાબેન પરમારનયનાબા જાડેજાસલીમ કરીયાણી વોર્ડ 4શીતલ પરમારકલ્પના ગૌસ્વામીઠાકરશી ગજેરાદીપક મકવાણા વોર્ડ 5હંસાબેન સોનારારૈયાભાઈ બાંભવાજીતેન્દ્ર રૈયાણી વોર્ડ 6દક્ષાબેન મકવાણાદેવુબેન જાદવશૈલેષ સાકરીયાઉકેશ રબારી વોર્ડ 8રણજીત મૂંધવા વોર્ડ 9ગિરીશ ઘરસંડિયા વોર્ડ 10ભાર્ગવીબા ગોહિલભાવેશ ચૌહાણડો. રતિલાલ ડોબરીયા વોર્ડ 12ઉર્વશીબા જાડેજાકમલેશ કોઠીવાળસંજય અજુડિયા વોર્ડ 13અંજનાબેન પાંચાસરાશાંતાબેન મકવાણામેપાભાઈ કણસાગરાસુનિલ ચાવડીયા વોર્ડ 14સરિયુંબેન સિયાણીપ્રિતેશ ચાવડીયાઅનિષભાઈ જોશી વોર્ડ 16રસિલાબેન ગરૈયાદીપતિબેન સોલંકીમહિપાલભાઈ ચૌહાણઇબ્રાહિમ સોરા વોર્ડ 17ગાયત્રીબેન ભટ્ટયોગીતાબેન જાડેજાશૈલેષ રૂપાપરા વોર્ડ 18માનસીબેન બૂટાણીરવિ જીતિયાનીતિન ભંડેરી
ગાંધીનગરમાં સત્તાના કેન્દ્ર સમાન જૂના સચિવાલયના બ્લોક નંબર-16માં આવેલી એક સરકારી કચેરીમાં કરોડો રૂપિયાના સરકારી નાણાંની ઉચાપતનું મસમોટું કૌભાંડ સપાટી પર આવ્યું છે. સમાજના વંચિત વર્ગોના ઉત્કર્ષ અને સુરક્ષા માટે ફાળવવામાં આવેલી અંદાજે 4.95 કરોડથી વધુની સરકારી ગ્રાન્ટ ખોટા દસ્તાવેજોના આધારે બારોબાર સગેવગે કરી દેવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવતા સમગ્ર વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ મામલે સ્થાનિક પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. જેના પગલે આગામી દિવસોમાં મોટા માથાઓની સંડોવણી બહાર આવવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. ગ્રાન્ટ સીધેસીધી એજન્સીઓના ખાતામાં ટ્રાન્સફર કરીને અંગત સ્વાર્થ માટે વપરાઈસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ આખું આર્થિક કૌભાંડ છેલ્લા ચારેક વર્ષથી ખૂબ જ વ્યવસ્થિત આયોજનબદ્ધ રીતે ચાલી રહ્યું હતું. સરકારી બાબુ સહિતની ટોળકીએ સરકારી ગ્રાન્ટ મેળવવા માટે મંજૂરીની પ્રક્રિયામાં મેલી મુરાદ રાખીને બોગસ ડોક્યુમેન્ટ્સ ઊભા કર્યા હતા. વેલ્ફર એક્ટિવિટીઝ માટે આવતી ગ્રાન્ટ સીધેસીધી એજન્સીઓના ખાતામાં ટ્રાન્સફર કરીને ત્યારબાદ તે રકમ અંગત સ્વાર્થ માટે વાપરી નાખવામાં આવી હતી. આ કૌભાંડમાં કચેરીના જ એક ઉચ્ચ અધિકારી , કર્મચારી અને ત્રણથી ચાર ખાનગી એજન્સીઓની મિલીભગત હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પ્રાથમિક ચકાસણીમાં જ કરોડો રૂપિયાની ગેરરીતિ થઈ હોવાના પુરાવા મળ્યાનવાઈની વાત તો એ છે કે સરકારના નાક નીચે આટલું મોટું કૌભાંડ આચરાયું હોવા છતાં લાંબા સમય સુધી તેની કોઈને ગંધ સુધ્ધાં આવી નહોતી. આ કૌભાંડનો પર્દાફાશ એક જાગૃત અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે. અરજદારે આ સમગ્ર ગેરરીતિ અંગેના નક્કર પુરાવાઓ એકત્ર કરીને પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા ત્યારે પોલીસની પ્રાથમિક ચકાસણીમાં જ કરોડો રૂપિયાની ગેરરીતિ થઈ હોવાના પુરાવા મળી આવતા તાત્કાલિક અસરથી ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એવી પણ ચર્ચા છે કે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર પોલીસ પકડથી બચવા માટે વિદેશ ભાગી છૂટ્યો છે જેને પરત લાવવા માટે પણ કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે. કચેરીમાંથી શંકાસ્પદ ફાઈલો અને દસ્તાવેજો પણ કબજે લેવામાં આવ્યા હાલમાં ગાંધીનગર પોલીસ દ્વારા આ કેસને અત્યંત સંવેદનશીલ ગણીને ગુપ્ત રાહે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની ટીમો દ્વારા જૂના સચિવાલયની જે-તે કચેરીની મુલાકાત લેવામાં આવી હતી અને છેલ્લા ચાર વર્ષ દરમિયાન ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ અધિકારીઓના નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત કચેરીમાંથી શંકાસ્પદ ફાઈલો અને દસ્તાવેજો પણ કબજે લેવામાં આવ્યા છે. ટેકનિકલ પુરાવાઓ મેળવવા માટે કચેરીમાં વપરાતા કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવનાર છે. પોલીસની સતત અવર જવર અને પૂછપરછને કારણે સરકારી કર્મચારીઓમાં ફફડાટસચિવાલયના વર્તુળોમાં એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે આ કૌભાંડના તાર માત્ર અધિકારીઓ પૂરતા મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ કેટલાક વગદાર રાજકીય માથાઓના આશીર્વાદ પણ હોઈ શકે છે. જો નિષ્પક્ષ તપાસ થાય તો અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે. જૂના સચિવાલયમાં પોલીસની સતત અવર જવર અને પૂછપરછને કારણે સરકારી કર્મચારીઓમાં કુતૂહલ અને ફફડાટ બંને જોવા મળી રહ્યા છે. જે રીતે એક પછી એક ફાઈલોની તપાસ થઈ રહી છે તે જોતા આગામી દિવસોમાં મોટા ગજાના રાજકીય નેતાઓ કે વગદાર અધિકારીઓના નામો ખૂલે તો નવાઈ નહીં. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, જો ઊંડાણપૂર્વક તપાસ થાય તો ભ્રષ્ટાચારના અનેક દટાયેલા મુડદાં બહાર આવી શકે તેમ છે. હાલમાં તો પોલીસે ગુપ્ત રાહે તમામ કડીઓ જોડવાનું શરૂ કર્યું છે જે ટૂંક સમયમાં મોટા ધડાકા તરફ નિર્દેશ કરી રહ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મંડાણ થઇ ચુક્યા છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની યાદી લગભગ તૈયાર કરી દીધી છે ત્યારે રવિવારે મોડી સાંજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણી માટેની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.જેમાં વડોદરા મહાનગરપાલિકાના 18 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બે કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવ્યા છે. સૌથી સિનિયર કોર્પોરેટર રિપીટ કરાયાવડોદરા મહાનગરપાલિકામાં ગત ટર્મમાં કોંગ્રેસના 7 સભ્યો જીત્યા હતા. જે પૈકી આજે જાહેર થયેલી યાદીમાં બે પૂર્વ કોર્પોરેટરોના નામ જાહેર કરવામાં આવ્યા છે. વડોદરાના સૌથી સિનિયર પૂર્વ કોર્પોરેટર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને વોર્ડ 16માંથી રિપીટ કરવામાં આવ્યા છે. તો ગત ટર્મમાં વોર્ડ-13માંથી જીતેલા બાળાસાહેબ સુર્વેને પુનઃ રિપીટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય 16 નવા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. યંગ બ્રિગેડને મેદાનમાં ઉતારવામાં આવીકોંગ્રેસે પણ આ વખતે અંગ બ્રિગેડને મેદાનમાં ઉતારી છે. આ યંગ બ્રિગેડમાં વોર્ડ-3માં પ્રદેશ પ્રવકતા નિશાંત રાવલના પત્ની કૃતિ રાવલ ઉપરાંત મધુ શ્રીવાસ્તવની બંને દીકરીઓ દીપા શ્રીવાસ્તવ અને નીલમ શ્રીવાસ્તવ (નિગમ) નો સમાવેશ થાય છે. તો વડોદરાના સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ કે જેઓ હાલમાં જ કોંગ્રેસમાં જોડાયા છે તેઓ ઉપરાંત વોર્ડ-14માં તીર્થ બ્રહ્મભટ્ટ. ઉપરાંત વિવિધ વોર્ડ પ્રમુખનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા બે પૂર્વ કોર્પોરેટરને ટિકિટકોંગ્રેસ દ્વારા ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ મેળવનાર પૂર્વ કોર્પોરેટર આશિષ જોષી, પારુલ પટેલનું વોર્ડ-15માંથી નામ જાહેર કરવામાં આવ્યું છે. હરણી બોટકાંડ બાદ ન્યાય માટે માંગણી કરી રહેલા આશિષ જોષીને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓના સાથી કોર્પોરેટર પારુલ પટેલને પણ ભાજપ વિરુદ્ધ કામ કરતા હોવાથી ટિકિટ નહીં મળે તેવો દ્રઢ વિશ્વાસ હતો જેથી આ બંનેએ થોડા દિવસો અગાઉ જ કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો હતો. જેઓ બંનેને વોર્ડ-15માં ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે. વોર્ડ-1માંથી જીતેલા ચાર ઉમેદવારોના નામ ઘોષિત કરવાના બાકીવડોદરા મહાનગરપાલિકામાં ગત ટર્મમાં કોંગ્રેસના 7 સભ્યો પૈકી 4 સભ્યો વોર્ડ 1માંથી વિજેતા બન્યા હતા. જો કે , પ્રથમ યાદીમાં વોર્ડ 1 કે જેમાં ચારેય કોર્પોરેટર કોંગ્રેસના હતા તેની યાદી જાહેર કરવામાં આવી નથી. આગામી સમયમાં બીજી યાદીમાં આ વોર્ડના નામોની ઘોષણા કરવામાં આવે તેવી શક્યતાઓ છે. જો કે હાલમાં આ વોર્ડમાંથી કોણ રિપીટ કરવામાં આવે છે અને કોણ કપાય છે તેના ઉપર સૌની નજર છે.
ગેસ સિલિન્ડરની અછત વચ્ચે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે, ત્યારે વડોદરામાં સિલિન્ડર ચોરીના બનાવો પણ સામે આવી રહ્યા છે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગોત્રી વિસ્તારમાંથી ચોરાયેલા ઇન્ડેનના બે ગેસ સિલિન્ડર સાથે બે આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરમાં વધતા મિલ્કત સંબંધિત ગુનાઓને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડિયા દ્વારા ક્રાઇમ બ્રાન્ચને અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવાની સૂચના આપવામાં આવી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી આઈ જે.આર. ગામીતની દોરવણી હેઠળ પીએસઆઇ આર.એન. બારૈયા અને પીએસઆઇ વી.પી. ચૌહાણની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમ્યાન માહિતીના આધારે અજબડી મિલ નજીક ઠેકરનાથ સ્મશાન પાસે બે શંકાસ્પદ શખ્સ હાલતમાં જણાતા બંનેને રોકી તપાસ કરી હતી. બન્ને આરોપીઓ બાઇક પર ઇન્ડેનના બે ગેસ સિલિન્ડર લઈને ફરી રહ્યા હતા અને કોઈ પુરાવા રજૂ કરી શક્યા નહોતા. તેઓની પુછપરછ કરતા આરોપી રાહુલ વાઘરાવાળા અને સિદ્ધાર્થ ઉર્ફે સિદ્ધ વિનયસિંહે ગોત્રી નિલાંબર સર્કલ પાસેની દુકાનમાંથી આઠ દિવસ પહેલાં બપોરે સિલિન્ડર ચોરી કર્યાનું કબૂલ્યું હતું. પોલીસે તેમની પાસેથી બે ગેસ સિલિન્ડર તથા બાઇક મળી કુલ અંદાજે રૂ. 45 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે આરોપીઓ અને મુદ્દામાલ ગોત્રી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
વડોદરામાં ભાઈએ પોતાના જ ભાઈ વિરુદ્ધ કરોડોની છેતરપીંડી અંગે ગંભીર ફરીયાદ નોંધાવી છે. વિશ્વાસ રાખીને ડોક્ટરે વહીવટ સોપતા ભાઈએ પેટ્રોલપંપના ભાગીદારી વ્યવસાયમાં બારોબાર અનેક ફાઇનાન્સ કંપનીઓમાંથી રૂ 3.38 કરોડની લોન લઈને નાણાકીય ઉચાપત કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એચપીસીએલ કંપનીમાં 60 લાખ પેમેન્ટ નહીં ચૂકવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે નંદેસરી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી યોગ આશ્રમ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ શરૂ ભાઈ દેવડા બોડેલી ખાતે દેવ હોસ્પિટલ ચલાવે છે. વર્ષ 2007માં એચપીસીએલ કંપનીનો પેટ્રોલપંપ ફાળવાયો હતો, જે બાદમાં નંદેસરી GIDC વિસ્તારમાં “મોર્વી પેટ્રોલપંપ” નામે શરૂ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં સંપૂર્ણ માલિકી દિલીપભાઈ પાસે હતી પરંતુ વર્ષ 2018માં તેમના ભાઈ સુભાષભાઈ દેવડાને 49 ટકા ભાગીદાર બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પેટ્રોલપંપનો વહીવટ ભાઈએ સંભાળ્યો હતો.ભાગીદારી બાદ સુભાષભાઈએ પોતાની સહીથી વિવિધ ફાઇનાન્સ કંપનીઓમાંથી કરોડો રૂપિયાની લોન લીધી હતી. જેમાં Aditya Birla Finance, Bajaj Finserv, Tata Capital સહિતની કંપનીઓ પાસેથી લોનના નામે રુપિયા 3.38 કરોડ લઇ ચાંઉ કરી નાખ્યા હતા. આ તમામ લોન અંગે ડોક્ટરને કોઈ માહિતી આપવામાં આવી નહોતી. બાદમાં ફોરેન્સિક ઓડિટ કરાવતા ખુલ્યું કે પેટ્રોલપંપની આવકમાંથી નાણાં ગેરકાયદેસર રીતે ઉપાડી વ્યક્તિગત ખર્ચ તેમજ ખાનગી દેવા ચુકવવામાં આવ્યા હતા. ઉપરાંત રોજિંદા કેશ ટ્રાન્ઝેક્શનમાં પણ ગેરરીતિઓ થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે પરિવારજનોની હાજરીમાં સોગંદનામું અને MOU પણ કરવામાં આવ્યા હતા. જેમાં પાંચ વર્ષમાં દેવું ચૂકવવાનો વાયદો કરવામાં આવ્યો હતો. છતાં પણ ત્યારબાદ પણ લોન લેવામાં આવતી રહી હોવાનો આક્ષેપ છે.હાલમાં છેલ્લા છ મહિનાથી પેટ્રોલપંપ બંધ છે અને લોનના હપ્તા ભરાતા નથી. જેના કારણે હવે લોનની જવાબદારી ડોક્ટર પર આવવાની શક્યતા ઊભી થઈ છે. આ સમગ્ર મામલે દિલીપભાઈ દેવડાએ પોતાના ભાઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ કરી છે. જેના આધારે પોલીસ દ્વારા સુભાષ દેવ દેવડા વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
જૂનાગઢના હૃદયસમા ગણાતા અને સતત ટ્રાફિકથી ધમધમતા ફાયર સ્ટેશનથી ગિરનાર દરવાજા વચ્ચેના માર્ગ પર રવિવારે એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ હતી. એક અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતા સ્ટ્રીટ લાઈટનો લોખંડી પોલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો હતો. સદનસીબે તે સમયે કોઈ વાહન નીચે ન આવી જતા મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આ ઘટનાએ વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને આળસની પોલ ખોલી નાખી છે. આ અકસ્માત એટલો વિચિત્ર હતો કે પોલ ધરાશાયી થઈને રસ્તા પર પડ્યો હોવા છતાં તેની ઉપર લાગેલી બંને લાઈટો ચાલુ હાલતમાં હતી. રસ્તા પર પડેલા વીજ પોલમાં જીવંત વાયર હોવાથી ગમે ત્યારે કોઈ પશુ કે નાગરિકને કરંટ લાગવાની પૂરેપૂરી શક્યતા હતી. લોકો જીવના જોખમે આ પોલની બાજુમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. રવિવારનો દિવસ હોવાથી જૂનાગઢવાસીઓ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં પરિવાર સાથે ભવનાથ તળેટીમાં ફરવા નીકળ્યા હતા. રસ્તાની વચ્ચોવચ પોલ પડ્યો હોવાને કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી. સ્થિતિ એવી સર્જાઈ હતી કે વાહનચાલકોએ જાતે જ દૂર મુકેલા ડિવાઈડર પાસેથી રસ્તો કાઢવો પડ્યો હતો. નાના બાળકો અને વડીલો સાથે નીકળેલા પરિવારો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા હતા, જ્યારે ટ્રાફિક નિયમન કે પોલ હટાવવા માટે તંત્ર તરફથી કોઈ જ તત્પરતા જોવા મળી નહોતી. એક તરફ સ્માર્ટ સિટીની વાતો થાય છે અને બીજી તરફ ભવનાથ જેવા મુખ્ય માર્ગ પર કલાકો સુધી જોખમી પોલ પડ્યો રહે તે કેટલી હદે યોગ્ય છે ? કદાચ તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. લાઈટો ચાલુ હોવા છતાં વીજ પુરવઠો કાપવાની તસ્દી પણ લેવામાં આવી નહોતી.સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, શું તંત્ર માત્ર રજાઓ માણવા માટે જ છે ? જનતાના જીવની કોઈ કિંમત નથી ? રવિવારની રજા હોવાથી તંત્રના બાબુઓ રજાની મજા માણી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ અહેવાલ બાદ તંત્ર સફાળું જાગે છે કે પછી કાગળ પર જ ઘોડા દોડાવ્યા રાખશે. તો આ મામલે પોતાના બચાવ પક્ષમાં જૂનાગઢ મહાનગરપાલિકાના ઈલેક્ટ્રીક શાખાના અધિકારી હાજાભાઇ ચુડાસમા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે અમને આ પોલ પડ્યાની જાણ થતા તાત્કાલિક તે વીજ લાઈન બંધ કરવામાં આવી છે અને હાલ પુલ ઉભો કરવાની કામગીરી હાથ ધરાઈ છે..
જામનગરમાં બે ગેંગના 29 સાગરીતો પર ગુજસીટોક:અસલમ ખીલજી, અલ્તાફ ખફી ગેંગ સામે કડક કાર્યવાહી
જામનગરમાં સંગઠિત ગુનાખોરી ડામવા પોલીસે કડક કાર્યવાહી કરી છે. રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ, પોલીસે અસલમ કરીમ ખીલજી અને અલ્તાફ ગફાર ખફી ગેંગના કુલ 29 સાગરીતો વિરુદ્ધ ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (GUJCTOC) હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ઓપરેશન જામનગર શહેરના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા, LCB પી.આઈ. વી.બી. ચૌધરી, SOG પી.આઈ. બી.એન. ચૌધરી અને સીટી એ-ડિવિઝન પી.આઈ. વી.એમ. ડોડીયા સહિતની ટીમો દ્વારા બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પાર પાડવામાં આવ્યું હતું. આ બંને ગેંગ વર્ષોથી ખૂન, ખૂનની કોશિશ, બળાત્કાર, લેન્ડ ગ્રેબિંગ, ફાયરિંગ અને ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી હતી. અસલમ કરીમ ખીલજી ગેંગમાં કુલ 18 સભ્યો સામે કાર્યવાહી કરવામાં આવી છે. કોર્પોરેટર અસલમ ખીલજીની આ ટોળકી સામે અત્યાર સુધીમાં અલગ-અલગ પોલીસ મથકોમાં કુલ 46 ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગના 13 સભ્યોને હસ્તગત કરવામાં આવ્યા છે, જેમાં અસલમ ખીલજી, શાકીર ખીલજી, આસીફ ખીલજી, રેહાન બેલીમ, સદામ ઉર્ફે ઇન્ડો શેખ, અકીલ શેખ, અસગરઅલી મકવાણા, આફતાબ ઉર્ફે અપુ મકવાણા, મહમદ ઉર્ફે મમલો પંજા, રઉફ ઉર્ફે ભુરો બેલીમ, મકસુદ ઉર્ફે પવન પંજા, એઝાઝ ઉર્ફે ગોકુલ કુરેશી અને હસન હારૂન બસરનો સમાવેશ થાય છે. જ્યારે ગની પટેલ બશર, અસલમ કાદર શેખ, ઇસ્માઇલ ઉર્ફે ધરાર માંડલીયા, નદીમ ખીલજી અને લતીફ ઉર્ફ લતીફ બાપુ શેખ સહિત 5 આરોપીઓ હજુ પકડવાના બાકી છે. અલ્તાફ ગફાર ખફી ગેંગમાં કુલ 11 સભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ખફીની આ ટોળકી જામનગર ઉપરાંત સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લામાં પણ સક્રિય હતી. આ ગેંગ વિરુદ્ધ કુલ 52 ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગના 8 આરોપીઓ હાલ જેલમાં છે, જેમાં અલ્તાફ ખફી, સમીર ચૌહાણ, જુનેદ ઉર્ફે જુનીયો ચૌહાણ, ઈસ્તીયાક કુરેશી, મોસીન ઉર્ફે પચાસીયા રૂમી, તોહિતખાન ઉર્ફે પપ્પુ શેખ, તબરેજ હાલાણી અને હમીદ ઉર્ફે રાંજો બ્લોચનો સમાવેશ થાય છે. સાહીદ ઇમ્તિયાઝભાઇ ખફીને નવો હસ્તગત કરવામાં આવ્યો છે. જ્યારે અબુસુફીયાન કુરેશી અને ઓસમાણ મુસા ખફી સહિત 2 આરોપીઓ પકડવાના બાકી છે. આ બંને સિન્ડિકેટ જામનગરના સામાન્ય નાગરિકોમાં હથિયારો બતાવી ભય પેદા કરતી હતી. તેમની વિરુદ્ધ ખૂન, ધાડ, બળાત્કાર, લેન્ડગ્રેબિંગ, ઘરફોડ ચોરી, નાર્કોટીક્સ (NDPS), પ્રોહીબીશન, એટ્રોસીટી, ફાયરિંગ અને જાહેરનામાનો ભંગ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આ બંને ગેંગ સામે GUJCTOC એક્ટની કલમ-૩(૧)(ii), ૩(૨), ૩(૪) તથા ૩(૫) મુજબ ફરિયાદ નોંધી છે. આ કાયદા હેઠળ આરોપીઓને જામીન મળવા મુશ્કેલ બને છે અને તેમની ગુનાહિત રીતે મેળવેલી મિલકતો ટાંચમાં લેવાની પણ જોગવાઈ છે.જામનગર પોલીસની આ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે
માળીયા કચ્છ હાઈવે પર આવેલી ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી પોલીસે સઘન વાહન ચેકિંગ દરમિયાન દારૂ ભરેલી સેન્ટ્રો કાર ઝડપી પાડી છે. કારમાંથી ચોરખાનામાં છુપાવેલી દારૂની 96 બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. 2.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન GJ 1 HM 0110 નંબરની સેન્ટ્રો ગાડીને રોકવામાં આવી હતી. તપાસ કરતા કારની પાછળની સીટ નીચે બનાવેલા ચોરખાનામાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ 96 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. 1,16,400 અને કારની કિંમત રૂ. 1,00,000 મળીને કુલ રૂ. 2,16,400 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે કચ્છના રાપર તાલુકાના કીડીયાનગરના રહેવાસી ઘનશ્યામભાઈ ડાયાભાઈ પરમારની ધરપકડ કરી છે. માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો આ જથ્થો કચ્છ બાજુથી મોરબી તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, પકડાયેલા આરોપી ઘનશ્યામભાઈ પરમાર વિરુદ્ધ અગાઉ માળીયા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં દારૂના એક-એક ગુના નોંધાયેલા છે. હાલ પોલીસ દારૂનો જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો હતો અને મોરબીમાં કોને આપવાનો હતો તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ગણેશપુરા કંપા સહિત સાત કંપાના 200થી વધુ કચ્છી પાટીદાર યુવાનો અને મહિલાઓએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. આ જોડાણ ગણેશપુરા કંપામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન થયું હતું. જેમાં ગણેશપુરા કંપા, મણીપુર કંપા, તળાવ કંપા, નાંદીસન કંપા, રાજલી કંપા, ભવાનીપુરા કંપા અને મદાપુર કંપાના કાર્યકરો સામેલ હતા. કોંગ્રેસમાં જોડાયેલા કચ્છી સમાજના યુવાનો અને મહિલાઓએ જણાવ્યું હતું કે, ભાજપે કચ્છી સમાજનો ઉપયોગ માત્ર મતો માટે જ કર્યો છે. આ કાર્યક્રમ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. તેમણે નવા જોડાયેલા સભ્યોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ મંત્રી અંબાલાલ પટેલ અને મોડાસા શહેર કોંગ્રેસ પ્રમુખ રાહુલભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના મજબૂત ગણાતા કચ્છી પાટીદાર સમાજના લોકો કોંગ્રેસમાં જોડાતા આગામી ચૂંટણી પહેલા ભાજપ માટે આ એક ચિંતાનો વિષય બની શકે છે. જ્યારે કોંગ્રેસ માટે આ જોડાણ નવી રાજકીય શક્તિ પ્રદાન કરી શકે છે.
વડોદરાના આજવા રોડ પર સાંઈબાબા મહાઆરતી:જાધવ અમી શ્રદ્ધા યુવક મંડળ દ્વારા મહાપ્રસાદનું આયોજન
વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં સ્થિત જાધવ અમી શ્રદ્ધા સોસાયટી, નવજીવન ખાતે જાધવ અમી શ્રદ્ધા યુવક મંડળ દ્વારા શ્રી સાંઈબાબાના ભંડારા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ 5 એપ્રિલ, 2026ના રોજ શરૂ થયો. આ ધાર્મિક પ્રસંગ ચૈત્ર વદ ત્રીજ, રવિવારના દિવસે યોજાયો છે. કાર્યક્રમની શરૂઆત સવારથી જ ભજન, પૂજન અને આરતી સાથે થઈ હતી, જેમાં સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં એકતા, ભાઈચારો અને આધ્યાત્મિક જાગૃતિ ફેલાવવાનો છે. યુવક મંડળના સભ્યોએ આયોજન માટે વિશેષ મહેનત કરી છે અને વ્યવસ્થાપનમાં સેવાભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સ્થાનિક રહેવાસીઓ અને આસપાસના વિસ્તારોમાંથી ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપી રહ્યા છે. સમગ્ર વિસ્તાર ભક્તિમય સંગીત અને સજાવટથી શોભી રહ્યો છે. જાધવ અમી શ્રદ્ધા યુવક મંડળ દ્વારા તમામ ભાવિક ભક્તોને આ પવિત્ર પ્રસંગે હાજર રહીને સાંઈબાબાના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને મહાપ્રસાદનો લાભ લેવા આમંત્રણ અપાયું છે.
અશોક ખરાતની ‘કૉલ ડિટેલ લીક’ થતા મહારાષ્ટ્રમાં હડકંપ, CM ફડણવીસે આપ્યા તપાસના આદેશ
Ashok Kharat Rape Case : દુષ્કર્મના આરોપી ઢોંગી બાબા અશોક ખરાતની કૉલ ડિટેઈલ લીક થયા બાદ મહારાષ્ટ્રમાં હડકંપ મચી ગયો છે. આ મામલો સામે આવ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક દેવેન્દ્ર ફડણવીસે તપાસના આદેશ આપ્યા છે. ફડણવીસે નાસિકમાં મોટું નિવેદન આપતા કહ્યું છે કે, ખરાત કેસમાં લીક થયેલા કૉલ ડિટેલ રેકોર્ડ (CDR)ની તપાસ કરાવાશે અને દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. આ ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED) દ્વારા તેની સંપત્તિના તપાસ કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, કોઈપણ વ્યક્તિને તેની કૉલ ડિટેલ રેકોર્ડ મેળવવાનો અધિકાર નથી, માત્ર અધિકૃત એજન્સીઓઓ જ મેળવી શકશે. સીડીઆર લીક કેવી રીતે થઈ અને તેની પાછળ કોનો હાથ છે, તેની ઊંડાણપૂર્વક તપાસ કરાવાશે.
વાંકાનેર તાલુકાના ભલગામ નજીકથી ગેરકાયદેસર જ્વલંતશીલ પ્રવાહીનો મોટો જથ્થો ઝડપાયો છે. એલસીબી અને સ્થાનિક પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને 29,000 લિટર પ્રવાહી અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 48.33 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. મોરબી જિલ્લા એલસીબીને માહિતી મળી હતી કે ભલગામની સીમમાં આવેલી માલકીયા હોટલ નજીક એમ.એચ. એન્ટરપ્રાઇઝમાં ગેરકાયદેસર રીતે જ્વલંતશીલ પ્રવાહીનો સંગ્રહ કરીને બહારથી આવતા ટ્રકોમાં ઇંધણ તરીકે ભરવામાં આવે છે. આ બાતમીના આધારે એલસીબી પીઆઇ એમ.પી. પંડયાની સૂચના મુજબ વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડા, એલસીબી અને વાંકાનેર તાલુકા પોલીસની ટીમે સંયુક્ત દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી 29,000 લિટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત 23.20 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત, 25 લાખ રૂપિયાની કિંમતનું ટેન્કર (નંબર GJ 12 AZ 9781), પાઈપ, ઇલેક્ટ્રિક મોટર અને બે મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આમ, પોલીસે કુલ 48,33,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે સ્થળ પરથી અજીતસિંહ નવઘણસિંહ જાડેજા (રહે. કનકનગર સોસાયટી, રાજકોટ), રવિ દાદ ધાધલ (રહે. નવાગામ, રાજકોટ), નરેન્દ્ર પ્રવીણચંદ્ર જોશી (રહે. નવાગામ, રાજકોટ), નયન મોહન મકવાણા (રહે. નવાગામ, રાજકોટ) અને નયન વિજય વાળા (રહે. નવાગામ, રાજકોટ) એમ પાંચ શખ્સોને પકડી પાડ્યા હતા. તેમની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પીઠાદરા ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલક પાસેથી ખંડણી માંગવાના આરોપસર સુરતના એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય પોતાને પત્રકાર તરીકે ઓળખાવતા હતા. આરોપીઓ સુરતથી પીઠાદરા ગામની સરકારી સસ્તા અનાજની દુકાને પહોંચ્યા હતા. તેમણે દુકાન સંચાલકને જણાવ્યું કે તેમને સરકારી અનાજ ઓછું આપવા અંગે હેડ ઓફિસમાં અરજી મળી છે. તેમણે સંચાલકને ઇન્ટરવ્યુ આપવા અથવા ₹21,000 આપવાની ધમકી આપી હતી. સંચાલકે તેમની પાસે ઓળખપત્ર (આઈકાર્ડ) માંગ્યા હતા, પરંતુ આરોપીઓએ આઈકાર્ડ આપવાનો ઇનકાર કર્યો હતો અને ત્યાંથી રવાના થવા લાગ્યા હતા. શંકા જતાં સંચાલક તાત્કાલિક ડોલવણ પોલીસ મથકે પહોંચ્યા અને સમગ્ર ઘટનાની જાણ કરી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની સ્વિફ્ટ કાર પણ જપ્ત કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં સુરત શહેરના નરેન્દ્ર મદનમોહન સિંહ, સપનાસિંઘ રાજપૂત અને હિરેન મેહતાનો સમાવેશ થાય છે. પોલીસે ત્રણેય કથિત પત્રકારો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું તેમણે અગાઉ પણ કોઈ પાસેથી ખંડણી ઉઘરાવી છે કે અન્ય કોઈને ધાકધમકી આપી છે.
રાજકોટના રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા, જે 1988ના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે, તેમને આજે વહેલી સવારે 7 વાગ્યે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જૂનાગઢ જિલ્લા જેલમાંથી અમદાવાદની હાઈ-સિક્યોરિટી સાબરમતી મધ્યસ્થ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ ટ્રાન્સફરને રાજ્ય જેલ વિભાગની અત્યંત ગુપ્ત અને સુરક્ષાત્મક કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે. ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ અમદાવાદ જેલમાં ટ્રાન્સફર કરાઈજૂનાગઢ જિલ્લા જેલ અધિક્ષક નાસીરુદ્દીન લોહારના જણાવ્યા અનુસાર સરકારના નીતિ-નિયમો અને વહીવટી કારણોસર અનિરુદ્ધસિંહ જાડેજાને અમદાવાદ જેલમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પોલીસના ચુસ્ત જાપ્તા અને ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. સાબરમતી જેલમાં તેમની સુરક્ષા અને અન્ય કેદીઓ સાથેના સંપર્કને લઈને વિશેષ તકેદારી રાખવામાં આવશે તેમ પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પૂર્વ MLAના હાઈ-પ્રોફાઈલ હત્યા કેસમાં આજીવન કેદની સજા આ સમગ્ર મામલાના મૂળ 36 વર્ષ જૂના ગોંડલના ચકચારી હત્યાકાંડમાં રહેલા છે. 15 ઓગસ્ટ 1988ના રોજ જ્યારે આખો દેશ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે ગોંડલ ખાતે ધ્વજવંદનના જાહેર કાર્યક્રમમાં કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ લાખાભાઇ સોરઠિયાની ગોળી મારીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ હાઈ-પ્રોફાઈલ હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા મુખ્ય આરોપી હતા અને લાંબી કાનૂની લડત બાદ તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. એક મહિનાની અંદર સરેન્ડર થવા હાઈકોર્ટનો આદેશવર્ષ 2018માં તત્કાલીન જેલ સત્તાધીશો દ્વારા અનિરુદ્ધસિંહને સારા વર્તનના આધારે સજામાફી આપી જેલમુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, આ મુક્તિ વિવાદોના ઘેરામાં રહી હતી. પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાના પૌત્રએ આ સજામાફીને પડકારતા ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કપી હતી. હાઈકોર્ટે ગત સપ્તાહ દરમિયાન આ મામલે કડક વલણ અપનાવતા જેલ અધિક્ષક ટી.એસ. બિસ્તના સજામાફીના હુકમને ગેરકાયદે ઠરાવી રદ કર્યો હતો. હાઈકોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે, અનિરુદ્ધસિંહ જાડેજાએ એક મહિનાની અંદર સરેન્ડર થવું પડશે. આ ઉપરાંત તેમને દરરોજ હાજરી પુરાવવાનો અને પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કરાયો હતો. હાઈકોર્ટના કડક વલણને પગલે આખરે તેમને જેલના સળિયા પાછળ જવું પડ્યું હાઈકોર્ટના આદેશથી બચવા માટે અનિરુદ્ધસિંહ જાડેજાએ ગત 29 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન (ક્રિમિનલ) દાખલ કરી હતી, જે 30 ઓગસ્ટે સુનાવણી માટે લેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જની ખંડપીઠ સમક્ષ આ મામલે દલીલો થઈ હતી. જોકે, કાયદાકીય પકડ મજબૂત બનતા અને હાઈકોર્ટના કડક વલણને પગલે આખરે તેમને જેલના સળિયા પાછળ જવું પડ્યું છે. અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ સંડોવણીઅનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓ માત્ર જૂના કેસ પૂરતી સીમિત નથી. હાલમાં જ ગોંડલના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ અનિરુદ્ધસિંહ અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો નોંધાયો છે. અમિત ખૂંટને મરવા માટે મજબૂર કરવાના (દુષ્પ્રેરણા) આરોપમાં ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની ચાર્જશીટ મુજબ અનિરુદ્ધસિંહ લાંબા સમય સુધી ફરાર રહ્યા હતા. ગોંડલ કોર્ટે ગત 19 ઓગસ્ટના રોજ તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી, જેનાથી તેમની મુશ્કેલીમાં વધારો થયો હતો.
ગાંધીનગરના આદિવાડા વિસ્તારમાં રહેતા અને કટલરીનો વ્યવસાય કરતા એક શ્રમિક પરિવારનો 14 વર્ષનો પુત્ર નાના ભાઈ બહેનને શાળાએ મૂકવા ગયા પછી પરત ફરતા સમયે રહસ્યમય રીતે ગુમ થતા પરિવારમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ મામલે પિતાએ સેક્ટર-28ની સ્કૂલ પાસે કોઈ અજાણ્યો શખ્સ પુત્રને લલચાવી ફોસલાવી ઉઠાવી ગયો હોવાની આશંકા સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સગીર તેના ભાઈ-બહેનને સ્કૂલે મુકવા ગયો હતોમૂળ ઉત્તર પ્રદેશના અને હાલ ગાંધીનગરના આદિવાડામાં રહેતા અખિલેશકુમાર રાઠોડના જણાવ્યા અનુસાર, તેમનો 14 વર્ષ અને 6 માસનો પુત્ર ગત 2 એપ્રિલના રોજ સવારે સાત વાગે સાયકલ લઈને તેના નાના ભાઈ બહેનોને સેક્ટર-28ની હિન્દી મીડિયમ સ્કૂલમાં મૂકવા માટે ગયો હતો. મોડે સુધી ઘરે ના પહોંચતા પરિવારે શોધખોળ કરી'તીસામાન્ય રીતે તે ભાઈબહેનોને સ્કૂલે ઉતારીને કલાકમાં ઘરે પરત આવી જતો હોય છે.પરંતુ તે દિવસે મોડે સુધી ઘરે ન આવતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. બાદમાં શાળાના શિક્ષકનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે કિશોર શાળાએથી તરત જ ઘર તરફ જવા રવાના થઈ ગયો હતો.જોકે તે ઘરે પહોંચ્યો ન હતો. લીલા રંગનું ટી-શર્ટ અને ડાર્ક ગ્રીન પેન્ટ પહેર્યું હતું, અપહરણનો ગુનો નોંધાયો જેના પગલે પરિવારજનોએ સેક્ટર-28 અને 24ના વિસ્તારો સહિત મિત્ર વર્તુળ અને વતનમાં પણ તપાસ કરી હતી. પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ગુમ થતી વખતે કિશોરે આખી બાયનું લીલા રંગનું ટી-શર્ટ અને ડાર્ક ગ્રીન પેન્ટ પહેરેલું હતું. તેમજ તેને આંખના નંબર હોવાથી તે કાયમી ચશ્મા પહેરે છે. કિશોર ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન ધરાવે છે. આ અંગે સેક્ટર-21 પોલીસે અપહરણનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ શહેરના મુમતપુરા તરફ જતા એસપી રીંગ રોડ પર આવેલા કેફેની સામે એક અવાવરૂ પ્લોટમાં એક ગાડીમાં દારૂ બિયરનો જથ્થો હોવાની સરખેજ પોલીસને બાતમી મળી હતી. પોલીસે તપાસ કરીને એક આરોપી ગાડી તથા દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આરોપી ખોટી નંબરપ્લેટ લગાવીને ગાડીમાં આ જથ્થો ભરી લાવીને અમદાવાદમાં બુટલેગરને સપ્લાય કરતો હતો.સરખેજ પોલીસે કુલ 4.47 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે. ગાડીમાંથી દારૂ બિયરની 456 બોટલો મળી આવીસરખેજ પોલીસને બાતમી મળી હતી, જેના આધારે બોપલથી મુમતપુરા જતા રોડ પરથી રેડ કરતા જ રાજસ્થાનનો શાંતિલાલ ચૌધરી (રહે. ઘાટલોડિયા) રંગેહાથ ઝડપાયો હતો.પોલીસે આરોપીની ગાડીની તપાસ કરતા ગાડીમાં ખોટી નંબરપ્લેટ લગાવી હોવાનું સામે આવ્યું હતું. સાથે ગાડીમાંથી દારૂ બિયરની 456 બોટલો પણ મળી આવી હતી. ઉદયપુરથી દારૂ લાવ્યાનો ઘટસ્ફોટપોલીસે દારૂ સહિત કુલ 4.47 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની પૂછપરછ કરતા તે આ જથ્થો ઉદયપુરથી ખેમરાજ પાસેથી લાવ્યો હોવાનું કબૂલાત કરી હતી. અમદાવાદ પહોંચ્યા બાદ દારૂનો જથ્થો કોને આપવાનો હતો તે બાબતે સરખેજ પોલીસે તપાસ હાથ ધરી છે. પકડાયેલો આરોપી અગાઉ વર્ષ 2018માં પણ સોલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયો હતો.
મહેસાણાના જોટાણા તાલુકાના કટોસણ-સાંથલ રોડ પર શનિવારે સાંજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. કટોસણ ધનપુરાના 30 વર્ષીય યુવક નરપતસિંહ ઝાલા પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે ઈંટોના ભઠ્ઠા પાસે બાઈક પરનો કાબૂ ગુમાવતા વાહન માઈલસ્ટોન સાથે જોરદાર અથડાયું હતું. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે યુવકનું મોત નિપજ્યું છે. માઈલસ્ટોન સાથે અથડાઈને બાઈક સ્લીપકટોસણ ધનપુરા (ઉદપુરા વિભાગ)માં રહેતા નરપતસિંહ ઝાલા(ઉ.વ. 30) શનિવારે બપોરે ચારેક વાગ્યાના સુમારે પોતાના ઘરેથી બાઈક લઈને સાંથલ તરફ જવા નીકળ્યા હતા.કટોસણથી સાંથલ જતા રોડ પર જાહેર રોડ ઉપર આવેલ ઈંટોના ભઠ્ઠા સામે તેમનું બાઈક પૂરઝડપે હોવાથી અચાનક માઈલસ્ટોન સાથે અથડાઈને સ્લીપ ખાઈ ગયું હતું. સારવાર સમયે યુવકે જીવ ગૂમાવ્યોઅકસ્માતની જાણ થતા જ મૃતકના કાકા માલભા જાલમસિંહ ઝાલા સહિતના પરિવારજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા.ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 મારફતે જોટાણા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે સાંથલ પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી ઈન્ક્વેસ્ટ પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. સી.આઈ.એસ.એફ.ના નિવૃત જવાન માલભા ઝાલાની ફરિયાદના આધારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવાન પુત્રના અકાળે અવસાનથી કટોસણ પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પોરબંદર પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરબદલ:10 અધિકારીઓની બદલી, 7ને નવા સ્થાનો, 3ની આંતરિક ફેરબદલ
પોરબંદર જિલ્લા પોલીસ વિભાગમાં વહીવટી સરળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને મોટાપાયે ફેરબદલ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) સ્તરના કુલ 10 અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશો જારી કરાયા છે. આ આદેશ અનુસાર, અન્ય જિલ્લાઓમાંથી બદલી થઈને આવેલા સાત અધિકારીઓને પોરબંદર જિલ્લામાં નવા નિમણૂક સ્થાનો સોંપવામાં આવ્યા છે. આ અધિકારીઓને ગાંધીનગર પોલીસ મહાનિર્દેશકની કચેરીના આદેશથી પોરબંદર જિલ્લામાં હાજર કરાયા હતા. નવા નિમણૂક પામેલા અધિકારીઓમાં બી.જી. ડાંગરને રાણાવાવ પોલીસ સ્ટેશન, સી.કે. કાતરીયાને હાર્બર મરીન પોલીસ સ્ટેશન અને એમ.એચ. લાઠીને એલ.આઈ.બી. (LIB) માં મૂકવામાં આવ્યા છે. વધુમાં, કે.વી. પરમારને કીર્તિમંદિર પોલીસ સ્ટેશન, એ.એન. જાડેજાને એસ.ઓ.જી. (SOG) અને આર.જે. રામને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપાયો છે. ડી.ડી. ચૌહાણને માધવપુર પોલીસ સ્ટેશન ખાતે નિમણૂક આપવામાં આવી છે. જિલ્લામાં કાર્યરત ત્રણ અધિકારીઓની આંતરિક બદલી પણ કરવામાં આવી છે. વહીવટી સુવિધા માટે તેમની જગ્યામાં ફેરફાર કરાયો છે. આંતરિક બદલી પામેલા અધિકારીઓમાં PI વાય.જી. માથુકીયાને એસ.ઓ.જી.માંથી મિયાણી મરીન પોલીસ સ્ટેશન, PI એસ.આર. ચૌધરીને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાંથી નવીબંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે બદલવામાં આવ્યા છે. PSI આર.એ. ઝાલાને એસ.ઓ.જી.માંથી બગવદર પોલીસ સ્ટેશન ખાતે નિમણૂક અપાઈ છે. પોલીસ અધિક્ષક પી. એસ. જાડેજાએ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાના નવા નિમણૂક સ્થળનો ચાર્જ સંભાળી લેવા અને તે અંગેનો રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી છે.
અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવિણ કોળીએ બગદાણાના નવનીત બાલધીયા દ્વારા વાયરલ કરાયેલા વીડિયો અંગે સ્પષ્ટતા કરી છે. આ વીડિયોમાં હિરાભાઈ સોલંકી અને કુંવરજી બાવળીયાનો ઉલ્લેખ થતા, કોળી સમાજમાં વિભાજનના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. પ્રવિણ કોળીએ જણાવ્યું કે, નવનીત બાલધીયા કોંગ્રેસમાં જોડાયા બાદ છેલ્લા બે-ત્રણ દિવસથી કોળી સમાજમાં આંતરિક વિભાજન કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે નવનીત બાલધીયાના કોંગ્રેસમાં જોડાવાથી કોળી સમાજને કે હિરાભાઈ સોલંકી અને પરસોતમભાઈને કોઈ તકલીફ નથી. પ્રવિણ કોળીએ હિરાભાઈ સોલંકીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે, તેઓ ગઈકાલે પણ કોળી સમાજ સાથે હતા, આજે પણ છે અને ભવિષ્યમાં પણ મોખરે રહેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે હિરાભાઈ, પરસોતમભાઈ કે કુંવરજીભાઈ કોળી સમાજના નેતા છે અને રહેશે, તેમાં કોઈ બદલાવ આવશે નહીં. પ્રવિણ કોળીએ કોળી સમાજની છબી ખરાબ કરવાના ઈરાદાથી સોશિયલ મીડિયામાં પ્રચાર કરતા લોકોને ચેતવણી આપી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે હિરાભાઈએ કરેલા કાર્યોનો બદલો કોળી સમાજ ૨૦૨૭ની રાજુલા વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક બહુમતી આપીને આપશે.
પાટણ શહેરના જયવીરનગર સોસાયટી વિસ્તારમાં સફાઈના પાઉચ વેચવાના બહાને આવેલા બે અજાણ્યા શખસોએ એક વૃદ્ધ મહિલાના સોનાના દાગીના સાફ કરી આપવાની લાલચ આપી છેતરપિંડી આચરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ શખસોએ દાગીના સાફ કરવાના નામે કેમિકલનો ઉપયોગ કરી બંગડીઓમાંથી અડધાથી એક તોલા જેટલું સોનું ઓગાળી લીધું હતું. આ મામલે પાટણ શહેર A-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર ઘટના શું હતી ?મૂળ ભાવનગર જિલ્લાના સિહોરના રહેવાસી પાર્વતીબેન ઠાકોર 25 માર્ચના રોજ પાટણ સ્થિત જયવીરનગર સોસાયટીમાં રહેતા તેમના બહેન સીતાબેનના ઘરે સામાજિક પ્રસંગમાં આવ્યા હતા. 3 એપ્રિલના રોજ સવારે આશરે 09:30 વાગ્યે જ્યારે તેઓ પરિવાર સાથે હાજર હતા, ત્યારે બે અજાણ્યા શખસો વાસણ સાફ કરવાના પાઉચ વેચવા માટે આવ્યા હતા. ઠગ ટોળકીએ વિશ્વાસ કેળવવા માટે સૌપ્રથમ એક સ્ટીલની ડિશ સાફ કરી બતાવી હતી. ત્યારબાદ, સોનાના દાગીના પણ નવા જેવા ચમકાવી આપવાની લાલચ આપી હતી. પાર્વતીબેન તેમની વાતોમાં આવી ગયા હતા અને પોતાના હાથમાં પહેરેલી આશરે 2 તોલા વજનની સોનાની બે બંગડીઓ સાફ કરવા આપી હતી. ઠગાઈની મોડસ ઓપરેન્ડીઆરોપીઓએ બંગડીઓને એક ટબમાં દસેક મિનિટ સુધી પલાળી રાખી હતી. ત્યારબાદ બ્રશથી સાફ કરી તેના પર હળદર જેવો પીળો લેપ લગાવી દીધો હતો. ઠગોએ એવી સૂચના આપી હતી કે આ લેપ સુકાઈ જાય પછી જ બંગડીઓ પહેરવી, અને આટલું કહી તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. તપાસમાં ભાંડો ફૂટ્યોથોડીવાર પછી જ્યારે મહિલાએ બંગડીઓ પરથી પાવડર હટાવ્યો, ત્યારે તેમને વજનમાં નોંધપાત્ર ઘટાડો જણાયો હતો. શંકા જતા પરિવારજનો સાથે જઈ સોની પાસે વજન કરાવતા બંગડીઓનું વજન માત્ર 15.3 ગ્રામ જણાયું હતું. આમ, સફાઈના નામે આરોપીઓએ આશરે 5 થી 10 ગ્રામ (અડધાથી એક તોલા) જેટલું સોનું કાઢી લીધું હોવાનું સામે આવ્યું હતું. પોલીસ કાર્યવાહીઆ ઘટના અંગે પાર્વતીબેને પાટણ શહેર A-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ BNS (ભારતીય ન્યાય સંહિતા)ની કલમ 318(2) અને 54 મુજબ ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના લાખો લોકોના રસોડા સુધી પહોંચતા ભેળસેળિયા તત્વો પર સુરત પોલીસે લાલ આંખ કરી છે. પોલીસ કમિશનરની સૂચનાથી ચલાવવામાં આવેલું ‘અભિયાન શુદ્ધિ’ અત્યંત સફળ રહ્યું છે. જેમાં SOGએ લાખોની કિંમતનું શંકાસ્પદ પનીર અને ઘી જપ્ત કરી મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહી બાદ હવે ફૂડ વિભાગે પણ કડક વલણ અપનાવી હોટેલ-રેસ્ટોરન્ટ માટે નવા નિયમો જાહેર કર્યા છે. લોકોના સ્વાસ્થ્ય માટે ‘અભિયાન શુદ્ધિ’શહેરમાં ખાદ્યપદાર્થોમાં વ્યાપક ભેળસેળની ફરિયાદો બાદ સુરત પોલીસ કમિશનરે લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ‘અભિયાન શુદ્ધિ’ શરૂ કર્યું હતું. આ મિશનની સંપૂર્ણ જવાબદારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને સોંપવામાં આવી હતી. SOG ની ટીમોએ શહેરના વિવિધ ગોડાઉનો અને ડેરીઓ પર દરોડા પાડીને તેલ અને કેમિકલથી બનતા ઘાતક ખાદ્ય પદાર્થોનો પર્દાફાશ કર્યો છે. 3,800 કિલો શંકાસ્પદ પનીર અને 9,000 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્તSOG ની તપાસમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. પોલીસે હાથ ધરેલી કાર્યવાહીમાં અંદાજે 3,800 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું છે, જેની કિંમત 9 લાખ રૂપિયા થાય છે. આશરે 9,000 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે, જેની બજાર કિંમત 67 લાખ રૂપિયા આંકવામાં આવી છે. કુલ મળીને પોલીસે 76 લાખથી વધુની કિંમતનો હાનિકારક જથ્થો ગ્રાહકો સુધી પહોંચતા અટકાવ્યો છે. હવે રેસ્ટોરન્ટમાં બોર્ડ મારવું ફરજિયાત: એનાલોગ કે ડેરી પનીર?પોલીસની આ મોટી કાર્યવાહી બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ નવું જાહેરનામું બહાર પાડ્યું છે. હવે કોઈપણ પનીર વિક્રેતા, રેસ્ટોરન્ટ કે દુકાન સંચાલકે ફરજિયાતપણે પોતાની દુકાન પર બોર્ડ મારવું પડશે. આ બોર્ડમાં સ્પષ્ટ લખવું પડશે કે તેઓ વાનગીમાં કયા પનીરનો ઉપયોગ કરે છે. ગ્રાહકોને ખબર પડવી જોઈએ કે તેઓ જે ખાઈ રહ્યા છે તે દૂધમાંથી બનેલું શુદ્ધ પનીર છે કે પછી વનસ્પતિ તેલ અને પાઉડરમાંથી બનેલું 'એનાલોગ પનીર'. છેતરપિંડી કરનાર વેપારીઓ સામે BNS હેઠળ કેસ થશેનવા નિયમ મુજબ, જો કોઈ વેપારી દૂધનું પનીર હોવાનું કહીને ગ્રાહકોને એનાલોગ (નકલી) પનીર પીરસે છે અને ફૂડ તપાસમાં નમૂના નાપાસ થાય છે, તો તે ગંભીર ગુનો ગણાશે. આવા કિસ્સામાં દુકાનદાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. આ નિયમથી ગ્રાહકોને છેતરતા અને તેમના સ્વાસ્થ્ય સાથે રમત રમતા વેપારીઓ પર લગામ આવશે.
ચાંદખેડામાં રહેતા 65 વર્ષીય નિવૃત્ત નિરંજન મોદી સાથે 30 લાખની છેતરપિંડીનો આચરવામાં આવી છે.શેરબજારમાં રોકાણ કરાવવાનો વિશ્વાસ અપાવી દર મહિને 10 ટકા વળતર આપવાની લાલચ આપી ફરિયાદી પાસે રોકાણ કરાવ્યું હતું. શરૂઆતમાં થોડું વળતર આપીને વિશ્વાસ જીત્યા બાદ કુલ 30 લાખ લઈ લીધા હતા.ત્યારબાદ આરોપીઓએ પૈસા આપવાનું બંધ કરી દીધું અને અલગ અલગ બહાનાં આપી સમય પસાર કર્યો હતો.અંતે રૂપિયા પરત ન મળતાં નિરંજન મોદીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં વિશાલ ભુવા અને ભૌમિક સોની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. કંપનીમાં નોકરી કરતા સમયે આરોપી સાથે સંપર્ક થયોચાંદખેડા વિસ્તારના નિરંજન મોદી નિવૃત જીવન જીવે છે. વર્ષ 2020માં રેલવે ડિપાર્ટમેન્ટની ડી.એફ.સી.સી. અંતર્ગત એન.કે.સી.નામની કંપનીની ઓફિસમાં નોકરી કરતા હતા. ત્યારે વિસ્ટા ઇન્ફોર્મેશન પ્રા. લિમિટેડ નામની કંપનીમાં નોકરી કરતા વિશાલ ભુવા સાથે મુલાકાત થઈ ગઈ હતી.ફરિયાદી રેલવે ડિપાર્ટમેન્ટમાંથી રિટાયર્ડ થયા હોવાની વિશાલ ભુવાને માહિતી મળી હતી.જેથી વિશાલ ભુવાએ ફરિયાદીને તેનો મિત્ર ભૌતિક સોની ફાઇનાન્સ કંપનીમાં કામ કરે છે અને શેર બજારનો ધંધો કરે છે. વધુ વળતરની લાલચમાં 30 લાખ ગૂમાવ્યાજરૂરિયાત મંદ લોકોને ધિરાણ કરી ધિરાણ કરતા લોકોને 10 ટકા વળતર આપે છે અને વળતરની રકમ દર મહિને 1થી 10 તારીખમાં આપી દેવાનું વચન ફરિયાદીને આપ્યું હતું. જેથી ફરિયાદીને પણ વળતરની લાલચમાં રોકાણ કરવાની ઈચ્છા થઈ હતી. જે બાદ ફરિયાદીએ રોકાણ કરવા માટે વિશાલ ભુવાને 5 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. જે બાદ વધુ રોકાણ કરી વધુ વળતર મેળવવાની ફરિયાદીને લાલચ આપવામાં આવી હતી.જેથી ફરિયાદીએ નફો મેળવવા માટે 15 લાખ બીજા રોકાણ માટે આપ્યા હતા.જેના થોડા સમય બાદ વિશાલ ભુવાએ વળતર પેટે કેસથી ટુકડે ટુકડે અલગ અલગ સમયે ફરિયાદીને 1.50 લાખ આપ્યા હતા. પૈસા પરત ન મળતા બે સામે ફરિયાદ નોંધાવીજેથી ફરિયાદીને વિશ્વાસમાં લઈને વધુ વળતર મેળવવાની લાલચ આપીને કુલ 30 લાખ રૂપિયા લઈ લીધા હતા. જો કે થોડા સમય પહેલા પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. જેથી ફરિયાદીએ રૂપિયાની માંગણી કરતા રોકાણ કરેલા રૂપિયા ભૌમિક સોનીએ રોકાણ કર્યા હોવાનો દાવો કર્યો હતો. ફરિયાદી તેની પાસેથી રૂપિયા પરત માંગતા વહીવટ સંભાળનારનું અવસાન થઈ ગયું હોવાનું કહી સમય પસાર કરી દીધો હતો. અનેક વખત ફરિયાદીએ રૂપિયાની માંગણી કરતા વળતર આપવાની લાલચ આપીને 30 લાખ મેળવી પરત ન આપતા ફરિયાદીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ વિશાલ ભુવા અને ભૌમિક સોની સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વાપી મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી માટે કોંગ્રેસે 1 ઉમેદવારની જાહેરાત કરી છે. જ્યારે આજે ગાંધીનગર ખાતે ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. જેમાં વાપી મહાનગર પાલિકાના ઉમેદવારો ઉપર ચર્ચા કરીને ઉમેદવારોની અંતિમ યાદી નક્કી કરવામાં આવી છે. જે આગામી દિવસોમાં જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા જાહેરાત કરવામાં આવશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વાપી મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટેનું આખરી સીમાંકન અને બેઠકોનું ગણિત જાહેર થતાં શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે. 13 વોર્ડ અને કુલ 52 બેઠકોના આ માળખામાં 26 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવતા આ ચૂંટણીમાં સ્ત્રી નેતૃત્વને વિશેષ પ્રોત્સાહન મળવાનું નિશ્ચિત થયું છે. ચૂંટણીની રૂપરેખા અને વસ્તીનું ગણિતચૂંટણી આયોગના આંકડા મુજબ, વાપી મહાનગરપાલિકાની કુલ વસ્તી 2,48,122 છે. સરેરાશ 19,000ની વસ્તી ધરાવતા 13 વોર્ડ બનાવવામાં આવ્યા છે, જેમાં વસ્તીના આધારે 10 ટકા સુધીની વધ-ઘટ સાથે સીમાંકન પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. દરેક વોર્ડમાં 4 બેઠકો મુજબ કુલ 52 સભ્યોની મ્યુનિસિપલ બોડીની રચના કરવામાં આવશે. અનામત બેઠકોનું ગણિત: સામાજિક સંતુલન પર ભારઆ વખતે અનામત વ્યવસ્થામાં સામાજિક સમતોલન પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. કુલ 52 બેઠકોમાંથી 1 બેઠક અનુસૂચિત જાતિ (SC) માટે, 9 બેઠકો અનુસૂચિત આદિજાતિ (ST) માટે (જેમાં 5 મહિલા અનામત), 14 બેઠકો પાછલા વર્ગ (OBC/SEBC) માટે (જેમાં 7 મહિલા અનામત) અને 28 બેઠકો સામાન્ય વર્ગ માટે રાખવામાં આવી છે. આ પૈકી દરેક કેટેગરીમાં મહિલાઓ માટે 50 ટકા અનામત રાખવામાં આવતાં ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારી વધશે. વોર્ડ નંબર 10 'હોટસ્પોટ'બનશે નવી સીમાંકન પ્રક્રિયામાં વોર્ડ નંબર 10ની બેઠક અનુસૂચિત જાતિ (SC) માટે અનામત રાખવામાં આવતા ત્યાં રાજકીય ગરમાવો વધ્યો છે. અનામત બેઠકોમાં થયેલા ફેરફારને કારણે વર્ષોથી સત્તા પર રહેલા કેટલાક નેતાઓ માટે પોતાની બેઠક બચાવવી પડકારજનક બનશે. વોર્ડ પ્રમાણે બદલાયું રાજકીય સમીકરણનવી સીમાંકન પ્રક્રિયાના કારણે અનેક વોર્ડોમાં અનામતનું સ્વરૂપ બદલાયું છે. કેટલાક વોર્ડોમાં ST અને OBC માટે અનામત આવતાં જૂના દિગ્ગજ નેતાઓ માટે પડકાર ઉભો થયો છે. વોર્ડ નંબર 10માં SC માટે બેઠક અનામત રાખવામાં આવતા આ વિસ્તાર રાજકીય રીતે હોટસ્પોટ બનવાની શક્યતા છે. તે જ સમયે ઘણા વોર્ડોમાં સામાન્ય અને મહિલાઓ માટે અનામત બેઠકો વધતાં નવા ઉમેદવારોને તક મળવાની સંભાવના વધી છે. પાર્ટીઓમાં ઉમેદવાર શોધની દોડચૂંટણીની તારીખ 26 એપ્રિલ જાહેર થતાં જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોએ પોતાના મજબૂત ઉમેદવારો શોધવાની કવાયત તેજ કરી છે. ખાસ કરીને જ્યાં અનામત બદલાયું છે તેવા વિસ્તારોમાં નવા ચહેરાઓ શોધવા માટે પક્ષો આંતરિક બેઠક અને સર્વે કરી રહ્યા છે. સ્થાનિક સ્તરે કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણા યુવા નેતાઓ અને સામાજિક કાર્યકરો આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે તૈયારીઓ શરૂ કરી ચૂક્યા છે. આચારસંહિતા લાગુ, તંત્ર સજ્જચૂંટણી આયોગના આદેશ બાદ વાપીમાં આચારસંહિતાનો અમલ કડક રીતે શરૂ થયો છે. શહેરના નોટિસ બોર્ડ અને જાહેર સ્થળોએ સીમાંકન અને અનામતની માહિતી પ્રદર્શિત કરવાની સૂચના આપવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા પણ ચૂંટણીને પારદર્શક અને નિષ્પક્ષ બનાવવા માટે તૈયારીઓ હાથ ધરાઈ છે. રાજકીય ચિત્રમાં મોટો ફેરફાર શક્યનવી સીમાંકન અને અનામતના કારણે આ વખતે વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઘણા દિગ્ગજોના રાજકીય સમીકરણ બગડી શકે છે. કેટલાક વર્તમાન કોર્પોરેટરો માટે પોતાની બેઠકો બચાવવી મુશ્કેલ બનશે, જ્યારે નવા ચહેરાઓ માટે રાજકીય કારકિર્દી શરૂ કરવાની આ મોટી તક સાબિત થઈ શકે છે. આ રીતે, 13 વોર્ડ અને 52 બેઠકોનું આ ગણિત વાપીના રાજકારણમાં મોટો ફેરફાર લાવશે તે નિશ્ચિત છે. હવે તમામની નજર 26 એપ્રિલના મતદાન પર ટકી છે, જ્યાં મતદાતાઓનો ચુકાદો વાપીના આગામી શાસનનો માર્ગ નક્કી કરશે.
ભાવનગરના શિવશક્તિ હોલ ખાતે 5 એપ્રિલ 2026ના રોજ શ્રી ભગવદ્ મંડળ અને વલ્લભ મંડળ મેરેજ બ્યુરો દ્વારા 16મો સર્વ ઉચ્ચ જ્ઞાતિ યુવક-યુવતી પરિચય મેળો યોજાયો. આ મેળાનો મુખ્ય હેતુ યુવક-યુવતીઓને યોગ્ય જીવનસાથી શોધવા માટે પારદર્શક અને વિશ્વસનીય પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. સવારથી જ મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ અને તેમના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન યુવાઓએ આત્મવિશ્વાસપૂર્વક પોતાના પરિચયો આપ્યા. પરિવારો વચ્ચે ખુલ્લી ચર્ચાઓ અને પરસ્પર સમજણ દ્વારા સંબંધોની શક્યતાઓ તપાસવામાં આવી. આ સમગ્ર આયોજન શ્રી ભગવદ્ મંડળના પ્રમુખ જયેન્દ્રભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ અને ઉપ-પ્રમુખ દીપકભાઈ મણિયાર સાથેની ટીમના સંકલનથી સફળતાપૂર્વક સંપન્ન થયું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કનકબેન શાહ (શિવ શક્તિ હોલ), પુષ્કરભાઈ મહેતા (સહમંત્રી- શ્રી ભગવદ્ મંડળ), રમેશભાઈ મહેતા (સૌરાષ્ટ્ર સમાચાર), પુણેન્દ્રુભાઈ પારેખ (સમસ્ત વણિક પ્રમુખ), નિલેશભાઈ નાણાવટી (ચંદન જ્વેલર્સ અને કોષાધ્યક્ષ-સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ) તથા ભાવનગર નાગરિક સહકારી બેંકના ચેરમેન ધર્મેન્દ્રભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, હરેકૃષ્ણ અગ્રવાલ (મુન્નાશેઠ), નિશીથભાઈ મહેતા, ગિરીશભાઈ શાહ, જયવંતભાઈ વનાણી (બુધાભાઈ પટેલ), હર્ષદભાઈ મોદી (તળાજા), કિશોરભાઈ અજમેરા (દિલ્હી), સંજયભાઈ મોદી (તળાજા), સંજયભાઈ શેઠ (અમદાવાદ), ગુણુભાઈ શાહ (પાર્શ્વભક્તિ), અરુણાબેન મોદી (રાજકોટ), જયપ્રકાશભાઈ દોશી (મહુવા), નીતાબેન હર્ષદભાઈ મોદી (મોદી એગ્રો, તળાજા), કિશોરભાઇ સોની (પ્રેમજી વશરામ એન્ડ કંપની) ભાનુમતિ ચીમનલાલ શાહ, વિનોદભાઈ સરવૈયા, મુકેશભાઈ શાહ, સોની હિંમતલાલ પ્રેમજીભાઈ, ફાલ્ગુનીબેન દોશી તેમજ અન્ય સમાજના અગ્રણીઓની વિશેષ હાજરી રહી હતી. પ્રસંગ દરમિયાન ભગવદ્ મંડળ દ્વારા તમામ મહેમાનોનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું. મેળામાં થયેલી સીધી મુલાકાતો અને ચર્ચાઓના કારણે અનેક નવા સંબંધો બંધાવાની મજબૂત સંભાવનાઓ ઊભી થઈ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ભગવદ્ મંડળના પુષ્કરભાઈ મહેતા, સી. કે. મહેતા, ઉપેન્દ્રભાઈ શાહ, જયેશાબેન મહેતા, શીલાબેન મહેતા, હેમાબેન પારેખ, મીનાબેન મગિયા, પૂર્વાબેન પારેખ, નીતાબેન ચૌહાણ સહિતની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
મહેસાણાના અયોધ્યા નગર વિસ્તારમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા 50 વર્ષીય લાલજીભાઈ મોહનભાઈ રબારી ગત તારીખ 2 એપ્રિલ 2026ના રોજ સાંજે સાતેક વાગ્યાના અરસામાં પોતાના એક્ટિવા નંબર GJ-18-FD-9123 પર દૂધ ભરાવવા માટે લાખવડ ગામની સહકારી મંડળીમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન લાખવડ રોડ પર આવેલા પશુ દવાખાના પાસેથી પસાર થતી વખતે ત્યાંથી અચાનક પૂરઝડપે બહાર આવેલી એક સફેદ કલરની અર્ટિગા ગાડીએ નંબર GJ-24-X-6632 તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. પશુપાલકને અર્ટિગા ગાડીએ ટક્કર મારતાં ગંભીર ઈજાઓ થઈઆ અકસ્માતમાં લાલજીભાઈ રોડ પર પટકાતા તેમને ડાબા હાથની કોણી, ડાબા પગે ઘૂંટણથી એડી સુધીના ભાગે તેમજ કમરમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી અર્ટિગા ગાડીનો ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત લાલજીભાઈએ બૂમાબૂમ કરતા પડોશમાં રહેતા નીતિનભાઈ રબારી દોડી આવ્યા હતા અને અન્ય પરિચિતોને જાણ કરી હતી.ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તને મહેસાણાની પાર્શ્વ સ્પાઇન ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અર્ટિગા ચાલક સામે ગુનો નોંધાયોહોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લાલજીભાઈએ મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા અર્ટિગા ગાડીના ચાલક વિરુદ્ધ ગફલતભરી રીતે વાહન ચલાવી અકસ્માત સર્જવા બદલ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બોટાદ સહકાર નગર જીવદયા ગ્રુપે કર્યું ઘાસનું વિતરણ:સાત સ્થળોએ અબોલ જીવોને લીલું ઘાસ ખવડાવ્યું
બોટાદના સહકાર નગર જીવદયા ગ્રુપ દ્વારા ચૈત્ર વદ ત્રીજ, રવિવાર, 05/04/2026 ના રોજ અબોલ પશુઓને લીલું ઘાસ ખવડાવવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત કુલ સાત સ્થળોએ ઘાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઘાસનું વિતરણ દામુભાઈની વાડી મહાજન પાંજરાપોળ (બોટાદ) ખાતે બે ટ્રેક્ટર દ્વારા કરવામાં આવ્યું. આ ઉપરાંત, બીટ અને પાળીયાદ મહાજન પાંજરાપોળમાં એક આઈસર, ઢસા મહાજન પાંજરાપોળમાં એક યુટિલિટી, ટાટમ મહાજન પાંજરાપોળમાં એક યુટિલિટી, નાનાભડલા મહાજન પાંજરાપોળમાં એક છોટા હાથી, તરઘરા મોગલ ધામ મંદિરે એક છોટા હાથી અને સુરેન્દ્રનગરમાં ગાય માતાને એક ટેમ્પો દ્વારા લીલું ઘાસ પહોંચાડવામાં આવ્યું હતું. આ જીવદયા કાર્યક્રમમાં કુલ રૂ. 25,000નું દાન અશોકભાઈ જગજીવનદાસ શાહ અને તેમના પરિવાર (બોટાદ) દ્વારા તેમના આત્મશ્રેયાર્થે આપવામાં આવ્યું હતું. શાંતિલાલ રતિલાલ દેસાઈ (બોટાદ, હાલ અમદાવાદ) દ્વારા રૂ. 20,000નું યોગદાન આપવામાં આવ્યું. અન્ય સહયોગી દાતાઓ તરફથી રૂ. 18,700નું દાન મળ્યું. જીવરાજભાઈ નાગરભાઈ ઝાલા (લાઠીદડવાળા, હાલ બોટાદ) દ્વારા રૂ. 13,000નું દાન અપાયું. પ્રભુ મહાવીર સ્વામી જન્મ કલ્યાણકના દિવસે સમસ્ત જૈન સંઘ (બોટાદ) તરફથી જીવદયા માટે રૂ. 9,350 મળ્યા. સ્વ. હેમકુંવરબેન નેમચંદ દેવશી ગુઢકા તથા સ્વ. દર્શનાબેનના આત્મશ્રેયાર્થે ઋષભ વિજયભાઈ શાહ પરિવાર (મૂળ મિઠોઈ, હાલ લંડન) દ્વારા રૂ. 3,501નું દાન આપવામાં આવ્યું. માતૃશ્રી લીલાવતીબેન શિવાલાલભાઈ શાહ (તુરખાવાળા, બોટાદ) અને ચશ્મા ઘર હસ્તે મનીષભાઈ (બોટાદ) દ્વારા રૂ. 2,500નું દાન મળ્યું. રૂપાબેન રિતેશભાઈ માનવના લગ્ન પ્રસંગ નિમિત્તે (સુરેન્દ્રનગર) રૂ. 2,500નું યોગદાન અપાયું. સ્વ. જયેશભાઈ હિંમતલાલ શાહ Hm પરિવાર (બોટાદ) દ્વારા રૂ. 1,500, સંદીપભાઈ મહેતા (બોરીવલી, મુંબઈ) દ્વારા રૂ. 1,111, અને એક ગુરુભક્ત પરિવાર (બોટાદ) દ્વારા રૂ. 1,000નું દાન મળ્યું. સ્વ. લતાબેન રાજેશભાઈ શાહ (બોટાદ) તરફથી રૂ. 1,000, એક ગુરુભક્ત પરિવાર (બોટાદ) તરફથી રૂ. 500, યોગશ્રમણ મહારાજ સાહેબના જન્મદિવસ નિમિત્તે પી.ડી. કોઠારી (બોટાદ) દ્વારા રૂ. 500, અને હીનાબેન હિતેશભાઈ બગડીયાના જન્મદિવસ નિમિત્તે (બોટાદ) રૂ. 500નું દાન મળ્યું. સહકાર નગર જીવદયા ગ્રુપ દ્વારા તમામ લાભાર્થી પરિવારો અને દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનની ટીમે વાહનચોરીના એક વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરીને ગીર સોમનાથ જિલ્લામાંથી એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી ચોરીની મોપેડ પણ રિકવર કરી છે. સુઝુકી એક્સેસ મોપેડની ચોરી કરનાર ઝડપાયોસુરત શહેરમાં વધી રહેલી વાહનચોરીની ઘટનાઓને ડામવા માટે પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓને પગલે પુણા પોલીસ એક્શન મોડમાં હતી. આ દરમિયાન, પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક બ્લુ કલરની સુઝુકી એક્સેસ મોપેડની ચોરી થઈ હતી. સીસીટીવીમાં કેદ થયો ને ગીર ગઢડામાં ઠેકાણું પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ.દેસાઈ અને આર.એચ.મોરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ તપાસમાં જોડાયો હતો. તપાસ દરમિયાન ગુનાવાળી જગ્યાની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. આ ફૂટેજ અને હ્યુમન સોર્સીસ દ્વારા મળેલી સચોટ માહિતીને આધારે ચોરી કરનાર શખ્સની ઓળખ કુલદીપ લાલજીભાઇ જોગીયા તરીકે થઈ હતી. પુણા પોલીસે આરોપીને ગીર સોમનાથમાંથી દબોચી લીધોપોલીસને બાતમી મળી હતી કે આરોપી ચોરી કર્યા બાદ પોતાના વતન ગામ ફરેડા, તા. ગીર ગઢડા, જી. ગીર સોમનાથ ખાતે નાસી ગયો છે. આ માહિતીના આધારે સર્વેલન્સ સ્કોડની એક ટીમ તાત્કાલિક ગીર સોમનાથ રવાના થઈ હતી અને આરોપી કુલદીપને તેના વતનમાંથી દબોચી લીધો હતો. 50 હજારની મોપેડ રિકવર કરાઈપોલીસે આરોપી પાસેથી ચોરી થયેલી નીચે મુજબની મત્તા રિકવર કરી છે જેમાં એક મેટ સ્ટેલર બ્લુ કલરની સુઝુકી એક્સેસ 125 મોપેડ કિંમત આશરે 50,000 પકડાયેલ આરોપીનું નામ કુલદીપ લાલજીભાઇ જોગીયા જે સીલાઇકામ કરે છે સરનામું ગીતાનગર સોસાયટી વિભાગ-02, પુણાગામ, સુરત જેનુ મૂળવતન ફરેડા, જી. ગીર સોમનાથ છે
આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ આજે ત્રીજી યાદી જાહેર કરી. પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની 120 બેઠકોમાંથી 75 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોડીનારમાં ભાજપને મોટો ઝટકો કોડીનારમાં ભાજપને ફટકો પડ્યો..ભાજપના પૂર્વ સંસદીય સચિવ અને કદાવર નેતા જેઠા સોલંકી સહિતના પદાધિકારીઓએ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું.. તો તાલુકા પંચાયત સદસ્ય સુનીલ રાઠોડે પણ ભાજપ સાથે છેડો ફોડ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાત ATS અને બનાસકાંઠા SOGને મોટી સફળતા ગુજરાત ATS અને બનાસકાંઠા SOGએ પાકિસ્તાની ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટી ગેંગના વોન્ટેડ આરોપી બિક્રમજીતસિંઘની ડીસામાંથી ધરપકડ કરી છે.આરોપી ગ્રેનેટની સપ્લાય અને સુરક્ષા એજન્સીઓના એકમો ઉપર ગ્રેનેટ મારફતે વિસ્ફોટ કરાવવાનું કામ કરાવતો હતો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દેશી દારૂના અડ્ડા પર LIVE રેડ સુરતના લીંબાયતમાં આપના કાર્યકર્તાઓએ દેશી દારુના અડ્ડા પર જનતાને સાથે રાખી રેડ પાડી.બુટલેગરે બાળકોને પોટલીઓ વેચવાના કામે લગાડ્યા હતા.ફેસબુક લાઈવ કરી કાર્યકર્તાઓ ગોરખધંધો ઉજાગર કર્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો યુવતીના પરિવારજનોએ યુવક પર કર્યો અત્યાચાર બનાસકાંઠાના થરાદમાં લિવઈનમાં રહેતી યુવતીના પરિવારે યુવક પર કર્યો અમાનુષી અત્યાચાર..યુવકનો ગુપ્ત ભાગે ટ્યુબ નાથી, ઈન્જેક્શનની સોયો ભોંકી. એટલું જ નહીં મહિલાના કપડા પહેરાવી ડાન્સ કરાવ્યો અને ટોઈલેટનું પાણી પણ પીવડાવ્યું આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કચેરી-અધિકારીઓ બાદ હવે ‘બીડી’ પણ નકલી કચેરી- અધિકારીઓ બાદ હવે તો વ્યસન પણ નકલી..જૂનાગઢના કેશોદ પાસેથી ઝડપાઈ નકલી બીડી. 3.12 લાખના મુદ્દામાલ સાથે કોડીનારનો શખ્સ ઝડપાયો. પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાતના દરિયાકાંઠે 'લોખંડી' સુરક્ષા ઈઝરાયલ અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધને પગલે સંભવિત ખતરાને જોતા ગુજરાતના દરિયાકાંઠે લોથંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો.. જામનગર બાદ હવે કચ્છમાં મરીન ટાસ્ક ફોર્સે સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો થાર ચાલકે ઈકો કારને ટક્કર મારી, 10 ઘાયલ અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર ખેડા ટોલ પ્લાઝા નજીક થાર ગાડીએ ઈકો ગાડીને જોરદાર ટક્કર મારી.. અકસ્માતમાં ઈકોમાં સવાર 10 મુસાફર ઘાયલ થયા છે, જેમાંથી ત્રણી હાલત ગંભીર છે. થાર ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાપડ વેપારીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો સુરતમાં કાપડ વેપારીએ વ્યાજખોરના ત્રાસથી ફિનાઈલ ગટગટાવ્યું..90 લાખ સામે 2.50 કરોડ ચૂકવ્યા છતા ઉઘરાણી ચાલુ હતી. કંટાળીને વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો. જો કે હાલ તે સારવાર હેઠળ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નેચરલ ગેસના ભાવમાં તફાવતથી રોષ મોરબીમાં નેચરલ ગેસના ભાવમાં મોટા તફાવતથી ઉદ્યોગકારોમાં રોષ ફેલાયો છે. જૂના ગ્રાહકોને 65 રૂપિયામાં અને નવા ગ્રાહકો પાસેથી 90 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે..ઉદ્યોગકારો આ મામલે સરકારની મધ્યસ્થી ઈચ્છી રહ્યા છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં પવિત્ર ગણાતા લોહીના સંબંધોને કલંકિત કરતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં એક 55 વર્ષીય વ્યક્તિએ પોતાની જ સગી ભાણકી પર નજર બગાડી તેની સાથે દુષ્કર્મ કરવાનો અઘટિત પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ માનવતાને શરમાવી દીધી છે અને સમગ્ર પંથકમાં આ નરાધમ સામે ભારે ફિટકાર વરસી રહ્યો છે. આરોપી જૂનાગઢ મધુરમ વિસ્તારમાં રહે છે અને ટ્રક ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેણે અગાઉ મહારાષ્ટ્રની એક મહિલા સાથે લગ્ન કર્યા હતા, જેનું કોરોના દરમિયાન નિધન થયું હતું. ત્યારબાદ તેણે ફરીથી મહારાષ્ટ્રની જ અન્ય એક મહિલા સાથે લગ્ન કર્યા હતા. હાલ આ શખ્સને દોઢ વર્ષનું એક નાનું બાળક પણ છે. તાજેતરમાં તેની પત્ની પોતાના બાળક સાથે પિયરમાં આંટો મારવા ગઈ હતી, ત્યારે ઘરે એકલતાનો લાભ ઉઠાવી આ શખ્સે શરમજનક કૃત્ય આચરવાનું કાવતરું ઘડ્યું હતું. આ શખ્સે પોતાની જ ભાણકીને ફોન કરી લાલચ આપી હતી કે મહારાષ્ટ્રના આરણી તાલુકાની એક બેંકમાં દાગીના અને રોકડ જમા છે, જેમાં વારસદાર તરીકે ભાણકીનું નામ છે. આ મિલકત મેળવવા માટે તેને જૂનાગઢ આવવું પડશે તેમ કહી વિશ્વાસમાં લઈ તેને જૂનાગઢ બોલાવી હતી. મોડી રાતે જ્યારે ઘરમાં બીજું કોઈ નહોતું, ત્યારે આ નરાધમ યુવતી પાસે ગયો અને અત્યંત શરમજનક રીતે 'હું તને પ્રેમ કરું છું' તેમ કહી તેની સાથે શરીર સંબંધ બાંધવા દબાણ ઊભું કર્યું હતું. આટલેથી ન અટકતા, આ શખ્સે યુવતીનો હાથ પકડી તેના પર બળજબરી કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાના જ સગા માસાનું આવું હેવાનિયતભર્યું રૂપ જોઈ યુવતી ફફડી ગઈ હતી. જોકે, યુવતીએ હિંમત હાર્યા વગર માસાના ચુંગાલમાંથી પોતાનો જીવ બચાવીને ઘરની બહાર દોટ મૂકી હતી. નરાધમ માસો તેનો પીછો કરી રહ્યો હતો, પરંતુ યુવતી દોડીને મુખ્ય માર્ગ પર પહોંચી ગઈ હતી. મધરાતે રસ્તા પર યુવતીની ચીસો અને બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. યુવતીએ રડતા રડતા પોતાની સાથે થયેલી આપવીતી વર્ણવતા લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. હાજર રહેલા લોકોના ટોળાએ આ નરાધમ શખ્સને મેથીપાક ચખાડી મેથીપાક આપ્યો હતો અને ત્યારબાદ પોલીસને હવાલે કર્યો હતો. આ મામલે ભોગ બનનાર યુવતીએ જૂનાગઢના સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નરાધમ માસા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવતીના નિવેદનના આધારે છેડતી,દુષ્કર્મનો પ્રયાસ અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપી હીરા વારસુર ની ધરપકડ કરી છે. હાલ પોલીસ આ શખ્સે અગાઉ કોઈ આવી ઘટનાઓને અંજામ આપ્યો છે કે કેમ તે મામલે વધુ તપાસ હાથ ધરી છે..
ભાવનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય ડો. કનુ કલસરિયાએ આ વખતે 'સદ્ભાવના મંચ'ના નેજા હેઠળ ચૂંટણી મેદાનમાં ઉતરવાની સત્તાવાર જાહેરાત કરી છે. મહુવા સ્થિત વડલી સદ્ભાવના હોસ્પિટલ ખાતે યોજાયેલી એક મહત્ત્વની બેઠકમાં તેમણે આ નિર્ણય લીધો હતો. 118 ગામના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં રણનીતિ તૈયારચૂંટણીલક્ષી આયોજન માટે બોલાવવામાં આવેલી આ બેઠકમાં મહુવા તાલુકાના 118 ગામના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સક્ષમ ઉમેદવારોને મેદાનમાં ઉતારવા અને મજબૂત રણનીતિ તૈયાર કરવાનો હતો. કાર્યકર્તાઓએ કલસરિયાના આ નિર્ણયને વધાવી લઈ આગામી ચૂંટણીમાં જીત મેળવવાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. જિલ્લાની તમામ બેઠકો પર ઉમેદવારો ઉતારશેસદ્ભાવના મંચ દ્વારા માત્ર મહુવા જ નહીં, પરંતુ ભાવનગર જિલ્લાની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડો.કનુ કલસરિયાએ જણાવ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં જ સદ્ભાવના મંચના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરશે. પૂર્વ ધારાસભ્યના આ નિર્ણયથી ભાવનગર જિલ્લાના સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો રચાય તેવી શક્યતા છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સદ્ભાવના મંચના પ્રભાવને જોતા મુખ્ય રાજકીય પક્ષો માટે પડકાર ઊભો થઈ શકે છે.
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં આગામી સમયમાં યોજાનારી ઓપન લેધર બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં ખેલાડીઓ પર મોટી બોલી લગાવવામાં આવી હતી. ગોધરાના SRP ગ્રાઉન્ડ ખાતે 'વાલા એન્ડ ટીમ' દ્વારા લેધર બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ ટૂર્નામેન્ટ પૂર્વે ખેલાડીઓની હરાજી પ્રક્રિયા (Auction) હાથ ધરવામાં આવી હતી. આ હરાજીમાં કુલ 12 ટીમના માલિકોએ ભાગ લીધો હતો. કુલ 218 ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ટીમના માલિકોએ પોતાના મનપસંદ ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા માટે ઉત્સાહભેર બોલી લગાવી હતી, જે રમતગમત પ્રત્યેના ઉત્સાહને દર્શાવે છે.
કાળઝાળ ગરમીમાં જ્યારે પારો આસમાને પહોંચ્યો છે, ત્યારે મનુષ્યોની સાથે અબોલ પક્ષીઓ પણ પાણીના એક-એક ટીપા માટે વલખાં મારી રહ્યા છે. પક્ષીઓની આ વેદના સમજીને આદિ ફાઉન્ડેશન દ્વારા માનવતાવાદી અભિગમ સાથે 'પાણી સેવા અભિયાન' શરૂ કરવામાં આવ્યું છે. શાહીબાગમાં પક્ષીઓ માટે કુંડા વિતરણશાહીબાગના ઘેબર સર્કલ પાસે આવેલા રાધા કૃષ્ણ મંદિર ખાતે પક્ષીઓ માટે માટીના કુંડા (પરિંદા) વિતરણનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના બેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના હસ્તે નાગરિકોને મફત કુંડા અર્પણ કર્યા હતા અને આદિ ફાઉન્ડેશનની આ સંવેદનશીલ કામગીરીને બિરદાવી હતી. 1000થી વધુ પરિંદાનું વિતરણઆ અભિયાન અંતર્ગત શહેરના જાગૃત નાગરિકોને 1000 થી વધુ માટીના કુંડા આપવામાં આવ્યા હતા. આયોજકોનો મુખ્ય હેતુ એ છે કે લોકો પોતાના ઘરની અગાસી, ગેલેરી કે આસપાસના વૃક્ષો પર આ કુંડા રાખે, જેથી ગરમીમાં કોઈ પક્ષી તરસ્યું ન રહે. કાર્યક્રમમાં ઉપસ્થિત હાર્દિક સંઘવી, અલ્પેશ શાહ, ચિરાગ ભાઈ, રવિ ચૌહાણ, કપિલ ભાઈ, હરેશ શાહ, ઋષભ શાહ અને પ્રદીપ ભાઈ સહિતના મહાનુભાવોએ નાગરિકોને પક્ષીઓ પ્રત્યે કરુણા દાખવવા અપીલ કરી હતી. સહઅસ્તિત્વનો ઉમદા સંદેશસંસ્થાના સભ્યોએ જણાવ્યું કે ભીષણ ગરમીમાં પાણી એ પક્ષીઓ માટે જીવન-મરણનો પ્રશ્ન છે. લોકોએ પણ આ પહેલને ઉમળકાભેર વધાવી દરરોજ કુંડામાં પાણી ભરવાનો સંકલ્પ લીધો હતો. આદિ ફાઉન્ડેશને આ માધ્યમથી સમાજમાં દયા અને સહઅસ્તિત્વનો મજબૂત સંદેશ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.
19 મી સદીના મહાન આત્મજ્ઞાની સંત શ્રીમદ્ રાજચંદ્રજીના 125 મા સમાધિદિન નિમિત્તે રાજકોટનું શાસ્ત્રી મેદાન ભક્તિ અને પવિત્રતાના રંગે રંગાયું છે. શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર ટ્રસ્ટ દ્વારા 4 થી 7 એપ્રિલ 2026 દરમિયાન આયોજિત ‘પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ’ માં હજારો મુમુક્ષુઓ ઉમટી પડ્યા છે. આ ચાર દિવસીય મહોત્સવના બીજા દિવસે, 5 એપ્રિલે આયોજિત સંકીર્તન સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશેષ હાજરી આપી હતી. તેમણે પરમકૃપાળુદેવને શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું કે, આ પર્વ માત્ર સ્મરણનો નહીં, પરંતુ આત્મમંથન અને આધ્યાત્મિક ઉન્નતિનો અપૂર્વ અવસર છે. સંતોની પાવન નિશ્રામાં ભક્તિમય વાતાવરણઆ મહોત્સવમાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક ગુરુરદેવ રાકેશજી, સાયલાના આધ્યાત્મિક વડા નલીનભાઈ, દિલ્હી મિશનના રત્નાપ્રભુ અને કોબા આશ્રમના સુરેશજી જેવા સમર્થ સંતોની ઉપસ્થિતિએ વાતાવરણમાં ઉર્જા ભરી દીધી હતી. રામકૃષ્ણ મિશનના સ્વામી નિખિલેશ્વરાનંદજી અને BAPS ના અપૂર્વમુનિ સ્વામીજીએ પણ આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે આયોજક ટ્રસ્ટીઓ કિશોરભાઈ મહેતા અને જગદીશભાઈ ભીમાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આર્ટ ઓફ લિવિંગના વિક્રમ હઝરાએ શ્રીમદ્ રાજચંદ્રજીના પદો ધરાવતું આલબમ “સુખ ધામ અનંત” અર્પણ કર્યું હતું. આત્મસિદ્ધિ શાસ્ત્ર અને આધ્યાત્મિક વારસોશ્રીમદ્ રાજચંદ્રજીએ માત્ર 28 વર્ષની વયે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ જેવી અમૂલ્ય રચના કરી હતી, જે આજે પણ મોક્ષમાર્ગના પથિકો માટે ભોમિયા સમાન છે. સભામાં વક્તાઓએ જણાવ્યું હતું કે, ભગવાન મહાવીરના માર્ગને સરળ ભાષામાં પ્રસ્તુત કરનાર આ વિરલ મહાત્માનો બોધ વર્તમાન સમયમાં અત્યંત પ્રસ્તુત છે. ગુરુરદેવ રાકેશજીએ પ્રેરક ઉદબોધનમાં કહ્યું કે, શ્રીમદ્ રાજચંદ્ર એ વ્યક્તિ નહીં પણ એક ઘટના છે. જો આપણે તેમના માર્ગે ચાલીને આંતરિક રૂપાંતરણ કરીએ તો આપણે પણ આત્મસ્થ થઈ શકીએ છીએ. વિવિધ સેવાકીય અને સાંસ્કૃતિક આયોજનમહોત્સવ દરમિયાન શાસ્ત્રી મેદાનમાં શ્રીમદ્ રાજચંદ્રજીની મૂર્તિના પક્ષાલ પૂજનનો લાભ ભાવિકો લઈ રહ્યા છે. સાથે જ તેમના દ્વારા વપરાયેલી પાવન વસ્તુઓનું પ્રદર્શન અને જીવદયાના સંદેશ સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવમાં દરરોજ સવારે 10.30 થી 12.30 અને રાત્રે 7.30 થી 9.30 દરમિયાન કીર્તન ભક્તિ, નાટ્ય પ્રસ્તુતિઓ અને પ્રવચનો યોજાય છે. 5 એપ્રિલની રાત્રે કલાકાર હાર્દિક દવે દ્વારા ભક્તિ સંગીત પીરસવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે આપણું શુદ્ધ વર્તન એ જ પરમકૃપાળુદેવની સાચી પબ્લિસિટી છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
પંચમહાલ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. જોકે, ઉમેદવારોની પસંદગી માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હાથ ધરવામાં આવેલી 'સેન્સ' પ્રક્રિયામાં ભારે નિરસતા જોવા મળી રહી છે. બીજા દિવસના અંતે મળેલી વિગતો મુજબ, જિલ્લાની કુલ 290 બેઠકો સામે માત્ર 186 દાવેદારોએ જ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બેઠકોની સરખામણીએ ઉમેદવારોની અછતજિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને બે નગરપાલિકાઓ માટે શરૂ કરવામાં આવેલી ઉમેદવાર પસંદગી પ્રક્રિયામાં ચિત્ર ચિંતાજનક જણાઈ રહ્યું છે. અનેક બેઠકો પર એક પણ દાવેદાર સામે ન આવતા સંગઠન સ્તરે દોડધામ મચી છે. ખાસ કરીને કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ કાર્યકરો ચૂંટણી લડવા માટે ખચકાટ અનુભવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બેઠકોનું ગણિત અને દાવેદારીની સ્થિતિ: રાજકીય વિશ્લેષકોમાં અનેક તર્ક-વિતર્કઉમેદવારોની આ નિરસતા પાછળ સંગઠનની નબળાઈ જવાબદાર છે કે પછી કાર્યકરોમાં ચૂંટણી જીતવાનો આત્મવિશ્વાસ ઓછો થયો છે, તે અંગે રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. કુલ બેઠકોની સંખ્યા સામે દાવેદારોનો આંકડો 100 કરતા પણ ઓછો હોવાથી આગામી દિવસોમાં કોંગ્રેસ તમામ બેઠકો પર ઉમેદવારો કેવી રીતે ઉભા રાખશે, તે જોવું રસપ્રદ રહેશે. હાલની સ્થિતિ જોતા બાકી રહેલી બેઠકો માટે આયાતી ઉમેદવારો કે નવા ચહેરાઓની શોધ કરવી પડે તેવી નોબત આવી છે.
અમદાવાદના મેમનગરમાં આવેલી સરદાર પટેલ (SP) ગર્લ્સ હોસ્ટેલની 60 વિદ્યાર્થીનીઓને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં હાલ 60 વિદ્યાર્થીનીઓને ઝાડા, ઉલટી અને વિકનેસના સિમ્પટોમ્સ સાથે વિદ્યાર્થીનીઓને લાવવામાં આવ્યા હતી. ફૂડ પોઈઝનિંગના કારણે એક બાદ એક વિદ્યાર્થીનીઓને તકલીફ થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. કેટલાક વિદ્યાર્થીઓને ભારે તાવ અને વોમિટિંગ થઈ રહી છે તો કેટલાકનું બ્લડ પ્રેશર ફ્લક્ચુએટ થઈ રહ્યું છે. સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં આ તમામ વિદ્યાર્થીનીઓની સારવાર ચાલી રહી છે, જેમાં કેટલાકને ઈમરજન્સી વોર્ડમાં સારવાર ચાલે છે તો કેટલાક OP અને ઓબ્ઝર્વેશન હેઠળ છે. ગઈકાલથી લઈ આજ સુધીમાં 60 વિદ્યાર્થીઓની તબિયત લથડી ગઈ હોવાની માહિતી મળી રહી છે.
પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ શહેરના ધોળાકુવા વિસ્તારમાં ડી-માર્ટ મોલ પાછળ આવેલી એક બંધ કંપનીના મેદાનમાં દરોડો પાડી વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ કાર્યવાહીમાં કુલ 39.18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ શખ્સો ફરાર થઈ ગયા છે. ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહીપંચમહાલ રેન્જ IG અને પોલીસ અધિક્ષક ડો. હર્ષદ દુધાતની સૂચના મુજબ, LCB PI એ.બી. વોરાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ASI નાદીરઅલીને બાતમી મળી હતી કે, રમેશ સંગોડ અને રમેશ કટારા નામના શખ્સો ડી-માર્ટ પાછળ આવેલી બંધ ફેક્ટરીના મેદાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી તેનું વેચાણ કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. જપ્ત કરાયેલો મુદ્દામાલપોલીસે ઘટનાસ્થળેથી મુદ્દામાલ કબ્જે કર્યો છે: વિદેશી દારૂ: 7,512 નંગ બોટલ/ટીન (કિંમત આશરે રૂ. 23,78,592) વ્હાઇટ પાવડર: આશરે 30 ટન પાવડર (કિંમત રૂ. 30,000) વાહન: એક અશોક લેલેન્ડ ટેલર (કિંમત રૂ. 15,00,000) મોબાઈલ: 2 નંગ કુલ કિંમત: રૂ. 39,18,592 ધરપકડ અને વોન્ટેડ આરોપીઓપોલીસે સ્થળ પરથી બે આરોપીઓ વિજય ગરાસીયા અને સુનીલ મંડોરીયા (બંને રહે. ધોળાકુવા, ગોધરા) ની ધરપકડ કરી છે. જ્યારે દારૂ મંગાવનાર રમેશ સંગોડ, રમેશ કટારા અને ટેલરનો ચાલક પોલીસને જોઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસ મથકે તમામ પકડાયેલા અને ફરાર આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગોધરા કોલેજ સ્ટાફ દ્વારા જીવદયાનું ઉત્તમ ઉદાહરણ:કીડીઓને કણ પૂરી સેવાયજ્ઞ યોજાયો
ગોધરાની શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજના સ્ટાફ દ્વારા જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. કૉલેજના શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ સામૂહિક રીતે કીડિયારું પૂરવાનો સેવાયજ્ઞ કરી રહ્યા છે. આ પ્રવૃત્તિ અંતર્ગત, સ્ટાફના સભ્યો કૉલેજ કેમ્પસ અને આસપાસના વિસ્તારોમાં જ્યાં કીડીઓના દર હોય ત્યાં કીડિયારું પૂરે છે. તેઓ લોટ, તલ, ઘી અને ખાંડના મિશ્રણનો ઉપયોગ કરીને કીડી જેવા નાના જીવોને ખોરાક પૂરો પાડે છે. ભારતીય સંસ્કૃતિમાં જીવદયાને સર્વોપરી માનવામાં આવે છે. આ પરંપરાને સાર્થક કરવાના ઉદ્દેશ્યથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે કૉલેજના અધ્યાપકોએ જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થા માત્ર વિદ્યાર્થીઓના ઘડતરનું જ કાર્ય નથી કરતી, પરંતુ સમાજમાં પ્રકૃતિ અને અબોલા જીવો પ્રત્યે સંવેદના જગાડવાનું કામ પણ કરે છે.
ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પૂર્વ બાતમીના આધારે ઇન્ફોસિટી સર્કલ નજીક TCS રોડ પરથી એક લકઝુરીયસ કારમાં બેસીને IPL ક્રિકેટ મેચનો ઓનલાઈન સટ્ટો રમી રમાડતા વિજાપુરના બુકી ચિરેન જયંતીભાઈ પટેલને રોકડ રકમ, મોબાઈલ અને કાર મળીને રૂ.5.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ સટ્ટા બેટિંગનો પર્દાફાશ કર્યો છે. ઇન્ફોસિટી સર્કલ નજીક કારમાં બેસી ક્રિકેટ સટ્ટા બેટિંગ કરતો શખસ ઝડપાયોગાંધીનગરના ઇન્ફોસીટી સર્કલ પાસે શનિવારની મોડી રાત્રે એલસીબી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઓનલાઇન ક્રિકેટ સટ્ટાના મોટા કારોબારનો પર્દાફાશ કર્યો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ડી.બી. વાળાની ટીમ રાયસણ સહિતના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, ઇન્ફોસિટી સર્કલ નજીક ટાટા કન્સલટન્સી કંપની પાસેના રોડ પર લક્ઝુરિયસ કારમાં બેસી એક શખ્સ મોટાપાયે ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટિંગ કરી રહ્યો છે. GT અને RRની મેચ પર જુગાર રમતો અને રમાડતો હોવાનું ખૂલ્યું જે બાતમીના આધારે પોલીસ ટીમે દરોડા પાડતા જ બ્લુ કલરની મારૂતિ સુઝુકી ફ્રોનક્ષ ગાડીમાં બેઠેલો બુકી ચિરેન જયંતીભાઈ પટેલ (રહે. રાજેશ્વરી સોસાયટી, મણિપુરા રોડ, વિજાપુર) ફફડી ઉઠ્યો હતો. જેણે પોલીસ કાર્યવાહીથી બચવા હવાતીયા પણ માર્યા હતા.બાદમાં પોલીસે તપાસ કરતા તે મોબાઈલમાં ENGLISH777 નામની વેબસાઇટ પર ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ પર હારજીતનો જુગાર રમતો અને રમાડતો હોવાનું ખૂલ્યું હતું. જેના આઇડી પર લાખોના વ્યવહારો પણ બતાવતા હતા. પોલીસે કુલ 5.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યોજેના પગલે પોલીસે ઘટનાસ્થળેથી વિજાપુરના બુકી ચિરેન પટેલ પાસેથી મોબાઈલ ફોન, 15,000 રૂપિયાની રોકડ તેમજ કાર મળીને કુલ રૂ.5.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્રિકેટ સટ્ટાની દુનિયામાં વિજાપુરના ચિરેન જયંતીભાઈ પટેલનું નામ ખાસુ પ્રચલિત છે. જે મોટા બુકીઓ સાથે સીધો સંપર્કમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. જેના ઓનલાઈન સટ્ટા બેટિંગના આઇડી પાસવર્ડની ઊંડાણપૂર્વક તપાસ કરાય તો સારા ઘરના નબીરા - બિલ્ડરો ના નામ પણ ખુલવાની સંભાવના છે.
આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારો અવનવા નુસખા અપનાવી નિર્દોષ નાગરિકોને શિકાર બનાવી રહ્યા છે. ત્યારે સુરત શહેરની પુણા પોલીસને એક મોટી સફળતા મળી છે. અજાણી લિંક મોકલી ફરિયાદીનો મોબાઈલ હેક કરી, બેંક ખાતામાંથી નાણાં સેરવી લેતી ગેંગના બે સાતિક આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં આ ટોળકી સામે દેશભરમાંથી 69 જેટલી ફરિયાદો નોંધાઈ હોવાનું બહાર આવ્યું છે. ફરિયાદીની જાણ બહાર જ એકાઉન્ટમાંથી 28 હજાર ઉપડી ગયાપુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ એક નાગરિકને સાયબર ગઠિયાઓએ અજાણી લિંક મોકલી હતી. ફરિયાદીએ આ લિંક પર ક્લિક કરતા જ તેમનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હતો. ત્યારબાદ સાયબર ઠગોએ ફરિયાદીની જાણ બહાર તેમના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 28,000 ઉપાડી લીધા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા ફરિયાદીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. આ ગંભીર સાયબર ફ્રોડની ઘટનાને પગલે સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર (સેક્ટર-1), અને ઝોન-1ના નાયબ પોલીસ કમિશનર દ્વારા આરોપીઓને સત્વરે પકડી પાડવા સૂચનાઓ આપવામાં આવી હતી. પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. દેસાઈ તથા આર.એચ. મોરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની એક વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસે ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે આરોપીઓને દબોચ્યાપ્રો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એલ. કળથીયા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરીને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. બેંક ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે પોલીસે રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે દરોડા પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના સકંજામાં આવેલા બંને આરોપીઓ પિતા-પુત્ર હોવાનું સામે આવ્યું છે. જગદીશભાઈ ત્રિકમદાસ લાલવાણી જેઓ આ ગુનામાં વપરાયેલા બેંક એકાઉન્ટના ધારક છે. જય જગદીશભાઈ લાલવાણી જેઓ પણ આ વેપાર સાથે સંકળાયેલા છે અને ગુનામાં સામેલ છે. બંને આરોપીઓ સાનીધ્ય શ્રીપાર્ક ટેનામેન્ટ, જેતપુર, જી. રાજકોટના રહેવાસી છે. અજાણી લિંક પર ક્લિક કરવા પોલીસની અપીલપોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતાઓની તપાસ NCCCRP પર કરવામાં આવતા, તેમની સામે કુલ 69 જેટલી ફરિયાદો મળી આવી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે આ ટોળકી લાંબા સમયથી સક્રિય હતી અને અનેક લોકોને શિકાર બનાવી ચુકી છે. પુણા પોલીસે આ કિસ્સા બાદ લોકોને અપીલ કરી છે કે કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરવું નહીં. ખાસ કરીને લોભામણી ઓફરો કે બેંક એકાઉન્ટ અપડેટ કરવાના બહાને આવતી લિંક્સ સાયબર હુમલાનો ભાગ હોઈ શકે છે. જો તમારી સાથે આવો કોઈ ફ્રોડ થાય, તો તુરંત જ 1930 હેલ્પલાઇન નંબર અથવા સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી જોઈએ.
નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય તાપમાનમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 8 માં સત્તાધારી ભાજપના કાર્યકરોમાં ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ અને ઉત્સાહનો માહોલ છે. વેજલપુર વિસ્તારના હૃદય સમાન આ વોર્ડમાં જ્ઞાતિગત સમીકરણોની શતરંજ અને વર્ષો જૂની સ્થાનિક સમસ્યાઓ આગામી ચૂંટણીના ભાવિ નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થશે. દાવેદારોની લાંબી યાદી: પક્ષ કોના પર ઉતારશે પસંદગીનો કળશ?વોર્ડ નંબર 8 માં પોતાની પકડ મજબૂત કરવા ભાજપના અનેક લડાયક કાર્યકરોએ કમર કસી છે. વિવિધ શ્રેણીમાં રજૂ થયેલી દાવેદારીઓ પક્ષ માટે પસંદગીની મૂંઝવણ ઉભી કરી શકે તેમ છે, કેમ કે, આ વોર્ડમાં 15 કરતાં વધારે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે OBC મહિલા: જ્યોત્સનાબેન પ્રજાપતિ, સવિતાબેન ચૌધરી સામાન્ય સ્ત્રી: નીતુબેન શાહ OBC પુરુષ: જગદીશ મોદી, અપૂર્વ મિસ્ત્રી, ઉર્વેશ રબારી, જગમલભાઈ દેસાઈ સામાન્ય પુરુષ: વિજય કિકાણી, મહેશ પુરોહિત, નરેશ પુરોહિત, રાજુ પટેલ, કલ્પેશ (લઠ્ઠડ) મહેશ્વરી, હરિઓમ શર્મા બનાસકાંઠાના મતદારોની 'કિંગમેકર' ભૂમિકાવોર્ડ નંબર 8 ના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો અહીં મૂળ બનાસકાંઠાથી સ્થળાંતરિત થઈને વસેલા મતદારો હાર-જીતનું ગણિત બદલવાની ક્ષમતા ધરાવે છે. વેજલપુર નગરપાલિકાના અંતિમ પ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલા જગદીશ મોદી છેલ્લા બે ટર્મથી અહીં વિજેતા બની રહ્યા છે, જે તેમની પ્રજાકીય લોકપ્રિયતા અને જમીની પકડનો પુરાવો આપે છે. વોર્ડ નંબર 8ના મતદારોના સંખ્યાબળ સંખ્યા બળની વાત કરીએ તો વોર્ડના મતાધિકાર ધરાવતા નાગરિકોની વિગતવાર વિગતો નીચે મુજબ છે: વિકાસના દાવા અને વાસ્તવિકતા વચ્ચેની ખાઈચળકાટ ધરાવતા હોર્ડિંગ્સની પાછળ સ્થાનિક સમસ્યાઓનો અંધકાર હજુ પણ કાયમ છે. એટલે જ તો આ વોર્ડમાં પીવાનું શુદ્ધ પાણી, ગટર વ્યવસ્થા જેવી પાયાની સુવિધાઓ અને બિસ્માર રસ્તાઓના કારણે જનતામાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. એટલુ જ નહીં અહીં આવેલા ઐતિહાસિક અને વોર્ડની શાન સમાન ગંગા તળાવ પણ હાલ સત્તાધીશોની બેદરકારીનો ભોગ બન્યું છે. બ્યુટીફિકેશનના અભાવે આ જળસ્ત્રોત બિનઉપયોગી બન્યો છે, સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે જો આ તળાવની માવજત કરવામાં આવી હોત તો આ તળાવ શુદ્ધ પાણીનો સોર્સ બની શક્યું હોત. ખોદાયેલા માર્ગો અને હાલાકી ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શિવાજી ચોકથી દુધિયા તળાવ સુધી પાઈપલાઈનની કામગીરીને કારણે આખું નગર ખોદાયેલું છે. ધૂળની ડમરીઓ અને ટ્રાફિક જામ વચ્ચે વાહનચાલકોની ધીરજ ખૂટી રહી છે અને લોકોમાં ભારોભાર અસંતોષ જોવા મળી રહ્યો છે વોર્ડની ભૌગોલિક સીમારેખાવોર્ડ નંબર 8 માં નવગાળા ચાલ, વ્રજવિહાર એપાર્ટમેન્ટ, મેહા કોમ્પલેક્ષ, સુરગંગા સોસાયટી, વિજયનગર સોસાયટી, કિનલ સોસાયટી, સમર્થ એપાર્ટમેન્ટ, આશાપુરી કોમ્પલેક્ષ, ક્રિસ્ટલ ગોલ્ડ, જીનલ એપાર્ટમેન્ટ, હારમની એપાર્ટમેન્ટ, મંકોડીયા, રંગકૃપા, દેવપ્રયાગ, નાનુવાડી મંકોડીયા, વિશાખાપાર્ક, રઘુકુળ અને પાર્થ એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમીધારા, મુનિસુવ્રત દર્શન, શ્રી વિજય આશિષ પેલેસ, ક્રિસ્ટલ પેલેસ, તોરલ સોસાયટી-ચંદનવન, દેવદીપ અને સૂર્યદર્શન એપાર્ટમેન્ટ જેવા વિસ્તારો આ વોર્ડની સીમામાં ધબકે છે. જનતાનો અવાજ: વહાલા-દવલાની નીતિથી વિજલપોર પર અન્યાયસ્થાનિક રહીશ કૈલાશ મહાકાળ પોતાની વ્યથા ઠાલવતા જણાવે છે કે, અહીં રોડ સિવાય એક પણ નક્કર કામ થયું નથી. વિજલપોર અને જલાલપોરના મર્જર બાદ અન્યાયની લાગણી વધી છે. માત્ર 1 ઇંચ વરસાદમાં વિસ્તાર 'ડેમ'માં ફેરવાઈ જાય છે. વર્ષ 2008 માં જે પાણીનો પ્રોજેક્ટ 4 કરોડનો હતો, તે આજે 40 કરોડને આંબી ગયો છે, છતાં 10 વર્ષની સત્તા ભોગવ્યા બાદ પણ સત્તાધીશો ઘરે-ઘેરે મીઠું પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા છે. વિકાસના નામે માત્ર વાયદા?અન્ય એક જાગૃત નાગરિક રમેશભાઈ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા કહે છે કે, નવા રોડના નામે માત્ર જૂના બ્લોક ફરી બેસાડી દેવાયા છે. ગટરની કુંડીઓ રોડ લેવલથી નીચે જતી રહી હોવાથી અકસ્માતનો ભય રહે છે. મધ્યમ વર્ગના પરિવારોએ પીવાના પાણી માટે મહિને 1,000 રૂપિયા ખર્ચવા પડે છે. વેરો ભરવા છતાં મીઠું પાણી ન મળવું તે તંત્રની નિષ્ફળતા છે. નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ દેખાય છે, મજૂર વર્ગની દરકાર લેનાર કોઈ નથી. સત્તાધારી પક્ષ 20 વર્ષનો વિકાસ બોલે છેસામે પક્ષે, સ્થાનિક નરેશ પુરોહિત વિકાસનો દાવો કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે, છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે અને વિજલપોરની કાયાપલટ થઈ છે. વર્ષ 1984 માં જ્યાં રિક્ષા પણ નહોતી આવી શકતી, ત્યાં આજે આધુનિક રસ્તાઓ છે. શિવાજી ચોકથી આશાપુરી મંદિર સુધીના રસ્તાઓ નવસારીમાં શ્રેષ્ઠ છે. હાલ જે ખોદાણ છે તે ભવિષ્યની પાણી અને ગટરની સુવિધા માટે છે. ભાજપ લોકોની માંગણીઓ પૂરી કરવા સક્ષમ છે અને વિકાસના કામોમાં કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. આમ, વોર્ડ નંબર 8માં હાલ તો કેટલાક નાગરિકો સુવિધાના અભાવે અસંતોષ ઠાલવી રહ્યા છે તો કેટલાક નાગરિકો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે..પરંતુ આખરે તો ચૂંટણીના પરિણામ બાદ જ ખબર પડશે કે જનતા આખરે શું ઇચ્છતી હતી અને શું ઇચ્છી રહી છે.
ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં ભાડુઆતને અન્ય ભાડુઆતોને હેરાન કરવાના મુદ્દે સમજાવવા જતા મકાનમાલિકને છરી અને પાઈપથી હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ મકાનમાલિકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ભાડુઆતોને હેરાન કરતા હોવાથી સમજાવટ કરી હતીઆ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકથી મળતી વિગતો અનુસાર રાજકોટ ખાતે રહેતા રાજેન્દ્રસિંહ મંગળસિંહ સરવૈયા (ઉ.વ. 39) ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. 3 એપ્રિલ 2026ના રોજ તેઓ અને તેમના પત્ની ભાવનગરના દેસાઈ નગર, મીરાપાર્ક સોસાયટીમાં આવેલ તેમના મકાન પ્લોટ નં-31(સી) ખાતે હાજર હતા.મકાનમાં રહેતા ભાડુઆત કોમલબેન ધનસુખભાઈ રાઠોડ અન્ય ભાડુઆતોને હેરાન કરતા હોવાથી અગાઉ આ મુદ્દે ધનસુખભાઈને અગાઉ કહ્યું કે, તમે તમારા પત્નીને સમજાવો. અજાણ્યા શખસોએ હુમલો કરી મકાનમાલિકને જાનથી મારી નાખવાની ધમકી આપીત્યારબાદ ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યે કોમલબેનના સંબંધી હિતેશભાઈ તથા બે અજાણ્યા શખસો ઈકો કાર લઈને સ્થળ પર આવી અપશબ્દો બોલવા લાગ્યા હતા. વિરોધ કરતા એક શખસ પાઈપ લઈને અને હિતેશ છરી સાથે હુમલો કરી રાજેન્દ્રસિંહના હાથમાં ઇજા પહોંચાડી હતી, તેમજ અન્યોએ પણ પાઈપ અને ઢીકા પાટાથી માર માર્યો હતો. હુમલા બાદ આરોપીઓએ મકાનમાલિકને ધમકી આપી કે, “આજ પછી જો ઘર ખાલી કરાવ્યું છે તો તને જાનથી મારી નાખવો પડશે.” ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત રાજેન્દ્રસિંહે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કોમલબેન ધનસુખભાઈ રાઠોડ, હિતેશભાઈ અને બે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ BNS એક્ટની કલમ 115(2), 118(1), 117(2), 352, 351(3), 54 તેમજ જીપી એક્ટની કલમ-135 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં રાજેન્દ્રસિંહને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હિંમતનગરમાં પશુ-પક્ષીઓ માટે કુંડા, ચાટ, માળાનું વિતરણ:સ્માઈલ ફાઉન્ડેશન દ્વારા રાહત દરે વિતરણ કરાયું
હિંમતનગર શહેરના મહાવીરનગર ચાર રસ્તે રવિવારે સ્માઈલ ફાઉન્ડેશન દ્વારા પશુ અને પક્ષીઓ માટે કુંડા, ચાટ અને માળાનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ સવારથી સાંજ સુધી ચાલ્યો હતો. સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાહત દરે 500 કુંડા, 300 માળા અને 100 ચાટનું વિતરણ કરાયું હતું. આ પહેલનો ઉદ્દેશ ગરમીની ઋતુમાં પશુ-પક્ષીઓને પાણી અને આશ્રય પૂરો પાડવાનો છે. આ વિતરણ કાર્યક્રમમાં સ્માઈલ ફાઉન્ડેશનના પ્રમુખ મગનભાઈ રબારી, ટ્રસ્ટીઓ યોગેશભાઈ શાહ, લોકેશભાઈ પ્રજાપતિ, પી.એમ. સોની અને સંસ્થાની સેવાકીય ટીમ હાજર રહી હતી. ઉલ્લેખનીય છે કે, સ્માઈલ ફાઉન્ડેશન દ્વારા દર રવિવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડવાનું કાર્ય પણ કરવામાં આવે છે.
વડાલી પોલીસે બે દેશી બંદૂક સાથે બે ઝડપ્યા:મેઘ-કરુંડા રોડ પરથી ગેરકાયદેસર હથિયારો સાથે ધરપકડ
આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે વડાલી પોલીસે કાર્યવાહી કરી છે. આ અંતર્ગત, મેઘ-કરુંડા રોડ પરથી બે દેશી બનાવટની બંદૂક સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. વડાલી પોલીસ સ્ટેશનના PI ડી.આર. પઢેરીયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ સ્ટાફના નરેશભાઈને મળેલી ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. મેઘ ગામથી કરુંડા ગામ તરફ જતા રસ્તા પર આવેલા ગૌચરમાંથી આ શખ્સો ઝડપાયા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મહેંદ્રભાઈ માવજીભાઈ ડાભી (ઉ.વ. 26) અને રાકેશભાઈ સુરેશભાઈ ડાભી (ઉ.વ. 32)નો સમાવેશ થાય છે. આ બંને દામાવાસ, તા. ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠાના રહેવાસી છે. તેમની પાસેથી લાયસન્સ વગરની બે દેશી બનાવટની સિંગલ બેરલ બંદૂક મળી આવી હતી, જેની કિંમત આશરે ₹10,000 આંકવામાં આવી છે. વડાલી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સાબરકાંઠા LCB એ હિંમતનગરના વીરપુર બાયપાસ રોડ પરથી ચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓએ સાડા ત્રણ વર્ષ પહેલા વડાલીના નવાનગર સ્થિત આરોગ્ય કેન્દ્રમાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યું છે. LCB એ બંનેને અટકાયતમાં લઈ વધુ કાર્યવાહી માટે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. LCB ટીમ હિંમતનગરથી ઇડર તરફ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઘાણધા રેલ્વે ફાટક પાસે દેવરાજભાઈ અને રાજેન્દ્રકુમારને સંયુક્ત બાતમી મળી હતી. બાતમી મુજબ, નવાનગર ગામના અજયકુમાર અશોકભાઈ થોરી અને ધવલકુમાર ઉર્ફે ડીજે જગદિશભાઈ સોલંકીએ સાડા ત્રણ વર્ષ પહેલા નવાનગર આરોગ્ય કચેરીમાંથી કોમ્પ્યુટરની ચોરી કરી હતી અને હાલ તેઓ ચોરીનો સામાન થેલામાં લઈને વીરપુર બાયપાસ રોડ પાસે ઊભા છે. બાતમીના આધારે, LCB ટીમે ઘટનાસ્થળે પહોંચી અજયકુમાર અશોકભાઈ થોરી (ઉં.વ. ૨૧) અને ધવલકુમાર ઉર્ફે ડીજે જગદિશભાઈ સોલંકી (ઉં.વ. ૨૩), બંને રહે. નવાનગર, તા. વડાલી, જિ. સાબરકાંઠાને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી કોમ્પ્યુટરના મોનિટર, સીપીયુ, પાણીની નાની મોટર અને પ્રિન્ટર મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન, બંને આરોપીઓએ કબૂલ્યું હતું કે તેમણે અને તેમના ગામના કિર્તીકુમાર ઉર્ફે ગોલ્ડન ગોબરભાઈ સલાટ (જે હજુ ફરાર છે) એમ ત્રણેયે મળીને સાડા ત્રણ વર્ષ પહેલા રાત્રીના સમયે પોતાના ગામની આરોગ્ય કચેરીમાંથી બે કોમ્પ્યુટરનો સામાન અને એક પાણીની નાની મોટર ચોરી કરી હતી. આ અંગે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ચોરીના આ ગુનામાં LCB એ એક ઇલેક્ટ્રિક પાણીની નાની મોટર, એસર કંપનીના બે કોમ્પ્યુટર મોનિટર, એસર કંપનીના બે કોમ્પ્યુટર સીપીયુ, બે માઉસ અને એક નાનું પ્રિન્ટર સહિત કુલ ૪૨,૨૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા બંને આરોપીઓને હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓ: ૧. અજયકુમાર અશોકભાઈ પુંજાભાઈ થોરી, રહે. નવાનગર (વડાલી), તા. વડાલી, જિ. સાબરકાંઠા. ૨. ધવલકુમાર ઉર્ફે ડીજે જગદિશભાઈ મણાભાઈ સોલંકી, રહે. નવાનગર (વડાલી), તા. વડાલી, જિ. સાબરકાંઠા. પકડવાનો બાકી આરોપી: ૧. કિર્તીકુમાર ઉર્ફે ગોલ્ડન ગોબરભાઈ સલાટ, રહે. નવાનગર (વડાલી), તા. વડાલી.
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા.’
વેરાવળમાં 62 વર્ષથી રામધૂનની પરંપરા ચાલુ:સેલટેક્સ ઓફિસરે શરૂ કરેલું પ્રભાત ધૂન મંડળ આજે પણ સક્રિય
વેરાવળ શહેરમાં છેલ્લા છ દાયકાથી 'પ્રભાત ધૂન મંડળ' દ્વારા દર શનિવારે રામધૂનની પરંપરા અવિરતપણે ચાલી રહી છે. આ મંડળની શરૂઆત 62 વર્ષ પહેલા એક સેલટેક્સ અધિકારી દ્વારા કરવામાં આવી હતી, જે આજે પણ સક્રિય છે.આ મંડળની સ્થાપના 15 એપ્રિલ, 1964 (વૈશાખ સુદ બીજ) ના રોજ તત્કાલીન સેલટેક્સ અધિકારી કંચનલાલ ગટુરલાલ શાહ દ્વારા કરવામાં આવી હતી. તેમનો હેતુ શહેરમાં રામનામનો મહિમા વધારવાનો હતો, જેના ભાગરૂપે દર શનિવારે રાત્રે 10:30 થી 12:30 વાગ્યા સુધી રામધૂન શરૂ કરાઈ હતી.શાહ સાહેબે શરૂઆતમાં વેપારીઓ અને વડીલોને સાથે રાખીને જુદા જુદા લોકોના ઘરે જઈને રામધૂન કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે વધુ વેપારીઓ અને શ્રદ્ધાળુઓ આ કાર્યમાં જોડાતા ગયા. મંડળનો મુખ્ય હેતુ એ હતો કે, જો રાત્રે ધાર્મિક સ્થળોએ ન જઈ શકાય, તો કોઈના પણ ઘરે ભેગા થઈને રામધૂન દ્વારા જીવનમાં ભક્તિનો દીવો પ્રગટાવવો.આ પરંપરા અનુસાર, દર વર્ષે દિવાળી પછીના પહેલા શનિવારે શ્રી તપેશ્વર મંદિર ખાતે વિશેષ રામધૂનનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત, જો કોઈ પરિવાર ધૂન માટે આમંત્રણ આપે, તો મંડળના સભ્યો ત્યાં રામધૂન કરવા પહોંચી જાય છે.હાલમાં આ ધૂન મંડળમાં બહેનો અને બાળકોની સંખ્યા પણ વધી છે. રામધૂન સાથે ભજન, શ્રીનાથજીના ધોળ-કીર્તન અને જલારામ બાપાના ગુણગાન પણ ગવાય છે, જેનાથી વાતાવરણ ભક્તિમય બની જાય છે. કોરોના કાળ દરમિયાન પણ આ ધૂન બંધ રહી ન હતી અને સેવાભાવી સેવકના ઘરે અવિરતપણે ચાલુ રહી હતી.શનિવારે ધૂન કરાવવા માટે શ્રી પ્રભાત ધૂન મંડળનો સંપર્ક કરવા માટે શ્રદ્ધા ઇન્વેસ્ટમેન્ટના શૈલેષભાઈ રાયઠઠ્ઠા અથવા વ્યંકટેશ બુક સ્ટોલના ભાવીનભાઈ ઠકરારનો સંપર્ક કરી શકાય છે.
રાજકોટ શહેરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) એ તાજેતરમાં પોતાની કાર્યક્ષમતા દર્શાવી છે. એક વેપારીની ગુમ થયેલી ₹6 લાખ રોકડ ભરેલી થેલી સીસીટીવી નેટવર્ક અને પોલીસની ત્વરિત કાર્યવાહીને કારણે ગણતરીના કલાકોમાં જ મૂળ માલિકને સુરક્ષિત પરત મળી હતી. વાહનમાં લટકાવેલી 6 લાખ ભરેલી થેલી પડી ગઈપંચવટી સોસાયટીમાં રહેતા 61 વર્ષીય વેપારી તિરથભાઈ એ. લાલવાણી 05 એપ્રિલ, 2026 ના રોજ સવારે આશરે 11:30 વાગ્યે પોતાના જ્યુપીટર મોટરસાયકલ (નંબર: GJ-10-EJ-1323) પર દુકાને જઈ રહ્યા હતા. તેમના વાહનના આગળના ભાગે લટકાવેલી ત્રણ થેલીઓમાંથી એકમાં ₹6 લાખ રોકડ હતી. હનુમાન ગેટથી અંબર ચોકડી વચ્ચેના માર્ગ પરથી પસાર થતી વખતે આ રોકડ ભરેલી થેલી અચાનક પડી ગઈ હતી. દુકાને પહોંચ્યા બાદ થેલી ગુમ હોવાનું જણાતા વેપારીએ તાત્કાલિક નેત્રમ સેન્ટરનો સંપર્ક કર્યો અને અરજી નંબર 36/2026 થી ફરિયાદ નોંધાવી. સીસીટીવી કેમેરામાં ભંગારની ફેરી કરતો ઈસમ થેલી ઉપાડતાં દેખાયોઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને,PSI બી.બી. સિંગલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. પરેશભાઈ ખાણધર, સ્ટાફના પ્રદિપસિંહ સોઢા, અને કોન્સ્ટેબલ જેશાભાઈ ડાંગર, મિતલબેન સાવલીયા, પારૂલબા જાડેજા, દિવ્યાબેન વાઢેરની ટીમે તાત્કાલિક સર્વેલન્સ શરૂ કર્યું. પોલીસે હનુમાન ગેટ, જી.જી. હોસ્પિટલ અને અંબર રોડ વચ્ચેના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા. જેમાં લાલ રંગનું શર્ટ પહેરેલો એક ભંગારની ફેરી કરતો ઇસમ (ત્રણ વ્હીલની સાયકલ વાળો) રસ્તા પરથી પસાર થતી વખતે આ થેલી ઉપાડતો જોવા મળ્યો. પોલીસે તુરંત જ તે ઇસમનો ફોટો પાડી પોલીસ વોટ્સએપ ગ્રુપમાં શેર કર્યો. ભંગારની ફેરી કરતાં શખ્સે પ્રામાણિકતા દાખવીઆ દરમિયાન, થેલી મેળવનાર ઇસમે પોતાની પ્રામાણિકતા દાખવી. તે પોતાના પરિચિત કરિયાણાના વેપારી જયેશભાઈ બેરા પાસે પહોંચ્યો અને તેમને મળેલી થેલી વિશે જાણ કરી. સંજોગવશાત, જયેશભાઈના બહેન મનિષાબેન બેરા સીટી સી ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા હોવાથી તેમને આ અંગે જાણ કરવામાં આવી. મનિષાબેને ત્વરિત કાર્યવાહી કરતા સાયકલ સવાર ઇસમને જયેશભાઈ સાથે રોકડ ભરેલી થેલી લઈને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પહોંચવા જણાવ્યું. આમ, નેત્રમ પોલીસ અને નાગરિકોના સહયોગથી ગુમ થયેલી ₹6 લાખની રોકડ ગણતરીના કલાકોમાં જ તેના મૂળ માલિકને સુરક્ષિત પરત મળી.
ગુજરાત ATS અને બનાસકાંઠા SOGએ સંયુક્ત ઓપરેશન કરીને પાકિસ્તાની ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટી ગેંગના સભ્ય અને ભારતના પંજાબ રાજ્યના ગ્રેનેટ કેસમાં વોન્ટેડ બિક્રમજીતસિંઘની ડીસામાંથી ધરપકડ કરી છે.આરોપી ગ્રેનેટની સપ્લાય અને સુરક્ષા એજન્સીઓના એકમો ઉપર ગ્રેનેટ મારફતે વિસ્ફોટ કરાવવાનું કામ કરાવતો હતો.હાલ આરોપી કેટલાક સમયથી ડીસા ખાતે એક ઢાબામાં છૂટક મજૂરી કામ કરી રહ્યો હતો. આરોપીની ધરપકડ કરી ATSએ વધુ તપાસ હાથ ધરી છે. ડીસાના ઢાબામાંથી વોન્ટેડ આરોપી બિક્રમજીતસિંહની ધરપકડપંજાબ પોલીસે ગુજરાત ATSને વોન્ટેડ આરોપીની માહિતી શેર કરી હતી.જેના પર કામ કરીને તપાસ કરતા વોન્ટેડ આરોપી બિક્રમજીતસિંહ છે જે હાલ ડીસા ખાતે એક ઢાબામાં છૂટક મજૂરી કામ કરતો હોવાની માહિતી મળી હતી. ATSએ અલગ અલગ ટીમ બનાવી બનાસકાંઠા SOGની મદદથી ડીસાના એક ઢાબામાંથી બિક્રમજીતસિંઘની ધરપકડ કરી હતી. સુરક્ષા એજન્સીના એકમો પર વિસ્ફોટ કરાવતોઆરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપી શહેઝાદ ભટ્ટીની સાથે મળીને ગ્રેનેટ સપ્લાય અને સુરક્ષા એજન્સીના એકમો ઉપર ગ્રેનેટ મારફતે વિસ્ફોટ કરવાનું કામ કરાવતો હતો.આરોપી પંજાબથી દૂર રહી શહેઝાદ ભટ્ટી માટે પંજાબના સ્થાનિક માણસોને ગેંગમાં જોડતો અને ભટ્ટીની સૂચના મુજબ પોલીસ સ્ટેશન અને અન્ય સુરક્ષા એજન્સીના એકમો ઉપર હુમલો કરાવવાના કાવતરામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. ISI માટે કામ કરતો પાકિસ્તાની ગેંગસ્ટરઆરોપી પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી ISI માટે કામ કરતો પાકિસ્તાની ગેંગસ્ટર છે. જે ભારતના પંજાબ રાજ્યમાં ISI માટે આતંકવાદી પ્રવૃત્તિને અંજામ આપે છે,તેમજ સુરક્ષા એજન્સી અને પોલીસ સ્ટેશન ખાતે ખ્યાતનામ વ્યક્તિ ઉપર ગ્રેનેટ મારફતે હુમલો કરાવી રહ્યો છે.જે અંગે સ્પેશિયલ ઓપરેશન થતા અમૃતસર ખાતે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. અગાઉના ગુનામાં કેટલાક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.ત્યારે હવે આ ગુનામાં વોન્ટેડ બિક્રમજીતસિંઘની ધરપકડ કરીને પંજાબ પોલીસને આપવામાં આવશે.
બુશેહર પ્લાન્ટ પર ચોથો હુમલો! ઈરાનની UNને ફરિયાદ- રેડિયેશન ફેલાયું તો આરબ દેશો પણ થશે બરબાદ
Bushehr Nuclear Plant Attack : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હવે ન્યૂક્લિયર પ્લાન્ટમાંથી રેડિએશનનો ખતરો મંડરાઈ રહ્યો છે. ઈરાનના બુશેહરમાં ન્યુક્લિયર પ્લાન્ટ પાસે ચોથી વખત હુમલો કરવામાં આવ્યો છે, જેના કારણે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરસને પત્ર લખીને ફરિયાદ કરી છે. પરમાણુ ઉર્જા કેન્દ્ર પર સતત હુમલાને લઈને અરાઘચીએ ચિંતા વ્યક્ત કરી કહ્યું છે કે, જો આ કેન્દ્રોમાંતી રેડિએશન ફેલાશે તો ખાડી દેશોના નાગરિકોનો જીવ ખતરામાં મુકાશે. બુશેહરમાં ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલા બાદ ઈરાને UNને પત્ર લખ્યો યુએનને લખેલા પત્રમાં અરાઘચી (Abbas Araghchi)એ ચેતવણી આપી છે કે, ‘અમેરિકા અને ઈઝરાયલ અમારા પરમાણુ કેન્દ્રો પર હુમલા કરી રહ્યા છે, જેના કારણે રેડિએશન ફેલાવાનો ખતરો વધી ગયો છે.
ભરૂચ જિલ્લામાં ખ્રિસ્તી સમુદાય દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ત્રીજા દિવસે પુનરુત્થાનની યાદમાં ઈસ્ટર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં આવેલ વિવિધ ચર્ચોમાં વહેલી સવારે પ્રાર્થના સભાઓ યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો,યુવાનો અને બાળકો જોડાઈ સ્તુતિ-આરાધના કરી અને એકબીજાને ઈસ્ટરની શુભેચ્છાઓ પાઠવી હતી. ખ્રિસ્તી ધર્મમાં ઈસ્ટર પર્વને વિશેષ મહત્વ આપવામાં આવે છે. માન્યતા મુજબ ગુડ ફ્રાઈડેના દિવસે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચઢાવવામાં આવ્યા હતા અને તેમના મૃત્યુ બાદ તેમને કબરમાં મૂકવામાં આવ્યા હતા.તેમ છતાં, તેમના કહ્યા મુજબ ત્રીજા દિવસે,રવિવારે, તેઓ ફરી સજીવન થઈ લોકોને દર્શન આપ્યા હતા.આ ઘટનાની યાદમાં ખ્રિસ્ત ઉઠ્યો છે તેની યાદમાં વિશ્વભરના ખ્રિસ્તી વિશ્વાસીઓ ઈસ્ટર સન્ડે તરીકે આ પર્વની ઉજવણી કરે છે. ઈસ્ટર નિમિત્તે ભરૂચ જિલ્લાના એબેન એઝર મેથોડીસ્ટ ચર્ચ, સીએનઆઈ ચર્ચ, કેથલિક ચર્ચ તેમજ સાહિના ચર્ચ સહિતના ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી. વિશ્વાસીઓએ નવા પોશાકો પહેરી ચર્ચોમાં હાજરી આપી ઈસુની સ્તુતિ-આરાધના કરી અને સમાજમાં પ્રેમ, શાંતિ અને ભાઈચારો વધે તેવી પ્રાર્થનાઓ કરી હતી. આ રીતે ભરૂચ જિલ્લામાં ઈસ્ટર પર્વ ધાર્મિક ભાવના અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો.
વડોદરામાં GRINDR એપ્લિકેશનનો ઉપયોગ કરીને બાયોસેક્સ્યુઅલ માટે બોલાવીને યુવકને લૂંટવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓએ યુવકને ધમકી આપીને ATMમાંથી પૈસા ઉપાડવાની કોશિશ કરી અને છેવટે સોનાની ચેન તથા બે વીંટીઓની લૂંટ કરી લીધી હતી. મકાન માલિકે ચાવી આપતા જ આરોપીઓએ ફરિયાદીને બોલાવ્યો ફરિયાદી GRINDR એપ દ્વારા નિકુંજ નામના આરોપીના સંપર્કમાં આવ્યો હતો. ચેટિંગ અને વીડિયો કોલ દ્વારા વાતચીત થયા બાદ આરોપીઓએ વડોદરામાં ઉમા ચાર રસ્તા પાસે આવેલા ડોમિનોઝ પિઝા નજીકના એપાર્ટમેન્ટના ત્રીજા માળે મકાન ભાડે લેવાના બહાને મકાન માલિકને મળ્યા હતા. મકાન માલિકે ચાવી આપતા આરોપીઓએ તેનો ઉપયોગ કરીને ફરિયાદીને ત્યાં બોલાવ્યો હતો. ત્યાં પહોંચતા જ આરોપીઓએ ફરિયાદીને ધમકી આપી, માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. તેમણે યુવક પાસેથી 1,75,000ની કિંમતની સોનાની ચેઈન અને બે વીંટીઓની લૂંટ કરી લીધી હતી. આ ઘટના 23 માર્ચ, 2026ના રોજ બની હતી. કાવતરામાં સામેલ મહિલા આરોપીની ધરપકડપાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. પટેલની ટીમે ટેક્નિકલ સોર્સ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ કરી. તપાસમાં આરોપીઓ રાજકોટની 'મેરીલેન્ડ હોટેલ'માં રોકાયા હોવાનું જાણવા મળ્યું. આ સમગ્ર ઘટનામાં પોલીસની ટીમે રાજકોટમાં દરોડો પાડીને ગાડીના માલિક અને આ કાવતરામાં સામેલ આરોપી મુમતાજ યોગેશભાઈ ઉર્ફે રાકેશ સિંગર (રાજપૂત) (રહે. જડેશ્વર પાર્ક, વેલનાથ સોસાયટી, રાજકોટ)ને ઝડપી પાડી છે. પૂછપરછ દરમિયાન તેણે લૂંટના આ ગુનાની કબૂલાત કરી હતી. યોગેશભાઈ ઉર્ફે રાકેશ રામસીંગભાઈ શીંગર (રાજકોટ), નિકુંજભાઈ નરોત્તમબાપુ ગોંડલીયા (રાજકોટ), જનક રામસીંગભાઈ સીંગર (રાજકોટ), કેતન ઉર્ફે ચેતન મુકેશભાઈ દેગામા (રાજકોટ) અને એક અજાણ્યો શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ આરોપીઓમાં યોગેશ બિંદુ છે અને મુમતાજ સાથે લગ્ન કર્યા છે. આ ઘટનામાં ત્રણ આરોપીઓ તો એક જ ઘરના છે. આ ઘટનામાં પોલીસે મહિલા આરોપી સાથે એક કાર કબજે કરી છે. ઘટના- 2 પત્ની પતિની મોબાઈલ ચેટ વાંચીને ચોંકી ગઈવડોદરામાં એક પરિણીત મહિલાએ પોતાના પતિના મોબાઈલમાં અન્ય મહિલાઓ તથા છોકરાઓ સાથે ચેટિંગના સ્ક્રીનશોટ્સ જોઈને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ જણાવ્યું કે, તે અને તેનો પતિ છેલ્લા કેટલાય વર્ષોથી લગ્નજીવન વિતાવી રહ્યાં છે અને તેમને એક બાળકી પણ છે. પતિ અવારનવાર દારૂના નશામાં આવીને તેની સાથે ખરાબ વર્તન કરતો હતો. આ વર્તનને કારણે મહિલા વર્ષોથી માનસિક ત્રાસ સહન કરતી હતી. છેલ્લે તે છૂટાછેડા માટે તૈયાર થઈ ગઈ હતી. છોકરાઓ સાથે અશ્લીલ ચેટિંગ અને વીડિયો કોલના પુરાવા મળ્યામહિલાએ વધુમાં કહ્યું કે, પતિ વારંવાર દારૂ પીને ગમે ત્યાં પડી રહેતો હતો. આવી સ્થિતિમાં મહિલા તેને શોધીને ઘરે લઈ આવતી હતી. તાજેતરમાં પતિ દારૂ પીને બેહોશ અવસ્થામાં હતો ત્યારે પત્નીએ તેનો મોબાઈલ તપાસ્યો. તેમાં તેને અન્ય મહિલાઓ તથા છોકરાઓ સાથે અશ્લીલ ચેટિંગ અને વીડિયો કોલના પુરાવા મળ્યા. આ કિસ્સામાં પતિ બાયોસેક્સ્યુઅલ હોવાની વિગતો પણ સામે આવી છે. આ જોઈને મહિલા ચોંકી ગઈ અને તરત જ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. મહિલાએ પતિના બાયોસેક્સ્યુઅલ વર્તન અને માનસિક ત્રાસની ફરિયાદ પણ નોંધાવી છે. સમાજ માટે ચેતવણીપોલીસે જણાવ્યું છે કે, આવી એપ્લિકેશનો દ્વારા અજાણ્યા વ્યક્તિઓ સાથે સંપર્ક કરતી વખતે અત્યંત સાવચેતી રાખવી જરૂરી છે. ખાસ કરીને ઘર ભાડે આપતી વખતે પાર્ટીની વેરિફિકેશન વગર ચાવી આપવી જોઈએ નહીં. આ કિસ્સો એક વખત ફરી યાદ અપાવે છે કે સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સના માધ્યમથી આવતા સંપર્કોમાં અંધાધૂંધી વિશ્વાસ કરવો જોખમી સાબિત થઈ શકે છે.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સીમલીયા ગામ નજીક આવેલા જંગલમાંથી બે બાળ દીપડા મળી આવ્યા છે. આ પૈકી એક બાળ દીપડાનું મૃત્યુ થયું છે, જ્યારે બીજું ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું છે.બારિયા ફળીયા વિસ્તારના જંગલમાંથી પસાર થઈ રહેલા સ્થાનિક ગ્રામજનોની નજર આ બાળ દીપડાઓ પર પડી હતી. તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી.માહિતી મળતા જ વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગે મૃત બાળ દીપડાના શબનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.ઇજાગ્રસ્ત બાળ દીપડાને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે રેસ્ક્યુ વાન મારફતે ખસેડવામાં આવ્યો છે.વન વિભાગના પ્રાથમિક અનુમાન મુજબ, કોઈ પુખ્ત દીપડાએ આ બંને બાળ દીપડાઓ પર હુમલો કર્યો હોઈ શકે છે. જોકે, આ ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વન વિભાગે વિવિધ દિશામાં તપાસ તેજ કરી છે.
ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વોર્ડ નંબર 13 વિસ્તારમાં ચૂંટણી આચારસંહિતાના ભંગનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. સુભાસનગરચોક સ્થિત જૈન દેરાસર પાસે મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતી LED સ્ક્રીન પર વિકાસ કામો અને ખાતમુહૂર્તના વીડિયો સાથે વડાપ્રધાન તથા મુખ્યમંત્રીના ફોટા દર્શાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દાવેદારે ચૂંટણી વિભાગમાં લેખિત ફરિયાદ આપી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. ભાવનગર મનપાની LED સ્ક્રીનમાં વિકાસ કાર્યોની એડવર્ટાઇઝઆ અંગે ઘોઘા સર્કલ વોર્ડ નંબર 13માંથી કોંગ્રેસ પક્ષના દાવેદાર કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, આજે મારા વિસ્તારના સુભાસનગર ચોક જેન દેરાસર પાસે લાગેલ એલઇડીમાં મારા ધ્યાને આવ્યું કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચાલતી LED સ્ક્રીન ઉપર અત્યારે ભાવનગર મહાનગરપાલિકાએ જે કામો કરેલા છે, જે ખાતમુહૂર્ત કરેલા છે એના બધા વીડિયોની સ્ક્રીન ચાલી રહી છે. જેમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રી બધાના ફોટાવાળું છે, હાલ આચારસંહિતા ચૂંટણીના હિસાબે ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી હોય અને આચારસંહિતા ચાલુ હોય અને આ રીતનો આચારસંહિતાનો ભંગ થતો હોય તેવું મારી નજરે આવતા આજરોજ ચૂંટણી વિભાગમાં આચારસંહિતા માટેની ફરિયાદ નોંધાવી છે કે આ કાર્ય માટે જે કોઈની ભૂલ થઈ હોય, ક્ષતિ હોય, જે કોઈ અધિકારી હોય તેની સામે કડક પગલાં લેવા માંગણી કરેલી છે.
વડોદરાના ઉદ્યોગસાહસિકો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપારના નવા દ્વાર ખૂલવા જઈ રહ્યા છે. બરોડા મેનેજમેન્ટ એસોસિએશન (BMA) દ્વારા મુંબઈ ખાતેના સાઉથ આફ્રિકાના કાઉન્સોલેટ જનરલ ગિડિયન લબેનની ઉપસ્થિતિમાં એક ખાસ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દક્ષિણ આફ્રિકાના ખાણકામ, ઉત્પાદન અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં રહેલી વિપુલ તકો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ ક્ષેત્રોમાં નિકાસની ઉજળી તકોબરોડા મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડન્ટ ડો. મુકુંદ પુરોહિતે માહિતી આપતા જણાવ્યું હતું કે, દક્ષિણ આફ્રિકામાં હાલમાં ઔદ્યોગિક મશીનરી, પંપ, વાલ્વ અને ઇલેક્ટ્રિકલ સાધનોની ભારે માંગ છે. આ ઉપરાંત પેસેન્જર અને વ્યાપારિક વાહનોના માર્કેટમાં પણ ભારતીય ઉદ્યોગકારો માટે મોટું મેદાન છે. ખાસ કરીને દક્ષિણ આફ્રિકા હવે કોલસા આધારિત ઉર્જાથી દૂર થઈ રહ્યું હોવાથી સોલર મોડ્યુલ્સ અને EPC (એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન) સેવાઓ સાથે સંકળાયેલા ઉદ્યોગો માટે નિકાસના મોટા સ્કોપ છે. કેમિકલ્સ અને ફાર્મા સેક્ટરમાં વર્ચસ્વગુજરાત ભારતની કુલ ફાર્મા જરૂરિયાતોમાં 30% યોગદાન આપે છે. આ શક્તિને જોતા દક્ષિણ આફ્રિકામાં જેનરિક દવાઓ અને API (એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ) ની નિકાસ માટે કોન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરિંગ અને ડિસ્ટ્રિબ્યુશન પાર્ટનરશિપની ઉત્તમ તકો છે. તે જ રીતે, ખાણકામ અને કૃષિ ક્ષેત્રમાં વધતી માંગને કારણે એગ્રોકેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સના ઉદ્યોગકારો માટે પણ નવો માર્ગ મોકળો થશે. કુદરતી સંસાધનો અને FMCG ક્ષેત્રદક્ષિણ આફ્રિકા સોનું, પ્લેટિનમ અને મેંગેનીઝ જેવા ખનિજોનો વિપુલ ભંડાર ધરાવે છે. વડોદરાના ઉદ્યોગકારો લાંબા ગાળાના સપ્લાય એગ્રીમેન્ટ અને સ્ટ્રેટેજિક મિનરલ પાર્ટનરશિપ કરી શકે છે. સાથોસાથ, પેકેજ્ડ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ અને કન્ઝયુમર પ્લાસ્ટિકની વધતી માંગ FMCG નિકાસકારો માટે અમૂલ્ય સાબિત થશે.
વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર ખાતે મહાપ્રસાદીનો ભવ્ય ભંડારો યોજાયો હતો. આ કાર્યક્રમમાં 8000થી વધુ ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. શ્રી રામ સેવા કેન્દ્ર અને વાડીના વિવિધ મંડળોના સહયોગથી આ આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું. સાંજે યોજાયેલી શ્રી હનુમાનજીની આરતી દરમિયાન ભક્તિભાવનો માહોલ છવાઈ ગયો હતો અને સમગ્ર સ્થળ જય હનુમાનના નાદથી ગુંજી ઉઠ્યું હતું. વધતી ભીડ છતાં સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે પાર પડ્યું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી રામ સેવા કેન્દ્રના દત્તાત્રેય આહિર અને વિક્રમભાઈનું માર્ગદર્શન મળ્યું હતું, તેમજ સહયોગી મંડળોના સેવકોની સેવા ભાવના પ્રશંસનીય રહી. વડોદરા શહેરના વાડી રંગમહલ ગેટ પાસે આવેલું આ સંકટમોચન હનુમાનજી મંદિર વિશેષ પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. આશરે 70 વર્ષ પહેલાં, હોળી પ્રગટાવવા માટે જમીન ખોદકામ દરમિયાન હનુમાનદાદાની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી. ત્યારબાદ આ મૂર્તિની વિધિવત પ્રતિષ્ઠા કરીને મંદિરનું સ્થાપન કરવામાં આવ્યું અને તેને સંકટમોચન હનુમાનજી નામ અપાયું. સમય જતાં મંદિર જીર્ણ થતાં, ઈસવીસન ૨૦૦૦માં તેનું પુનઃપ્રતિષ્ઠા કરવામાં આવ્યું. પ્રારંભિક પૂજારી લાલાભાઈ મહંત હતા, અને હાલ રામદાસભાઈ મહંત તથા તેમનો પરિવાર મંદિરની સેવા સંભાળી રહ્યા છે. મંદિર પ્રત્યે ભક્તોની અતૂટ શ્રદ્ધા જોવા મળે છે. એક હરિભક્ત પ્રદીપસિંહ ગીલ પોતાનો અનુભવ જણાવે છે કે તેઓ રોજ નોકરીએ જતાં પહેલાં દાદાના દર્શન કરીને જ નીકળે છે. તેમના કહેવા મુજબ, તેઓ અપડાઉન કરતા હોવા છતાં ક્યારેય ટ્રેન મોડું પડતું નથી અને તેઓ પણ ક્યારેય મોડા પહોંચ્યા નથી. તેઓ આ બધું દાદાના આશીર્વાદનું પરિણામ માને છે. અહીંના સ્થાનિક લોકો માટે દાદા માત્ર દેવ નથી, પરંતુ જીવનનો આશરો છે. દિવસની શરૂઆત દાદાના દર્શનથી કરવાની પરંપરા છે. કોઈપણ કાર્ય માટે બહાર જવું હોય, જેમ કે નોકરીએ કે પરિવાર સાથે બહારગામ, લોકો દાદાના દર્શન કર્યા વિના જતા નથી. તેઓ પહેલા અહીં આવીને પ્રાર્થના કરે છે અને પછી જ પોતાના કામ માટે નીકળે છે.અહીં ભક્તોમાં એવી ગાઢ શ્રદ્ધા છે કે સંકટમોચન હનુમાનજીના આશીર્વાદથી સંકલ્પો પૂર્ણ થાય છે અને ભક્તોના દુઃખ દૂર થાય છે. તેથી જ રોજ મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા આવે છે અને પોતાની આસ્થા વ્યક્ત કરે છે.
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 5 એપ્રિલે રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે આધ્યાત્મમૂર્તિ શ્રીમદ રાજચંદ્રના 125 માં સમાધિદિનની ઉજવણી પ્રસંગે આવી પહોંચ્યા હતા. પરમ કૃપાળુદેવ પરમ પ્રયાણના આ પર્વ દરમિયાન ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશનના આચાર્ય રાકેશ ભાઈજીએ વિવાદિત નિવેદન આપતા જણાવ્યું કે, રાજાઓ મહેલમાં હોવાથી તેઓને ગ્રાસ રૂટનું કશું ખબર ન હોય. રાજાની આજ્ઞાથી વજીર દર્પણ લઈને ગામમાં ગયા. લોકોને ભેગા કરી દર્પણની ખૂબીઓ સમજાવી અને કહ્યું કે રાજાની ભલામણ છે કે આનો ઉપયોગ કરજો. તમારું દુઃખ દૂર કરજો અને સુખી થજો. જેનો જવાબ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, તમે જે અરીસો આપ્યો છે તેની સામે અમે ઊભા રહીશું અને અમારું મુખ જોઈશું. જેમાં જાડુ પડ લાગશે તો તમને કાપી આપવાનું કહીશું. જેથી સરખું દેખાય. મુખ્યમંત્રીએ શ્રીમદ્ રાજચંદ્રજીને શ્રદ્ધાંજલિ આપીને શ્રદ્ધાભાવ વ્યક્ત કર્યો હતો. આ તકે તેમણે શ્રીમદ્ રાજચંદ્રજી રચિત પદો પર તૈયાર કરાયેલા ‘સુખધામ અનંત’ નામના નવા સંગીત આલ્બમનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ઉપસ્થિતોને સંબોધતા કહ્યું હતું કે, શ્રીમદ્ રાજચંદ્રજીએ આપેલા આધ્યાત્મિક ગ્રંથ ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર’ના સંદેશને જીવનમાં ઉતારીને આત્મકલ્યાણના માર્ગે આગળ વધવું જોઈએ. આ જ્ઞાનના દ્રઢિકરણ માટે નિયમિત રીતે સત્સંગમાં જવાનો સંદેશ પણ તેમણે આપ્યો હતો. શ્રીમદ્ રાજચંદ્રજીએ આપેલા જ્ઞાન અને સંદેશને અનુસરવાથી વ્યક્તિનું પોતાનું જીવન તો બદલાશે જ પરંતુ તેની સાથે અન્યોને પણ પ્રેરણા મળશે. તેમણે સંસ્થાના સંદેશનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, પરમ પ્રયાણ પર્વ એ પરમ કૃપાળુદેવની પરમ અદભુત આત્મદશાનું સ્મરણ કરીને આત્મ કલ્યાણના માર્ગે અગ્રેસર થવાનો અપૂર્વ અવસર છે. તેમણે આ પર્વને સ્મરણ નહીં પણ આત્મમંથન, સાધના અને આધ્યાત્મિક ઉન્નતિનો અવસર ગણાવ્યો હતો. આ સાથે કહ્યું હતું કે, વ્યવહાર જીવન જીવતા જીવતાં પણ પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ શાસ્ત્રને અનુસરવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, ગૂઢ આધ્યાત્મિક જ્ઞાનને સમજવામાં માનવીની શક્તિ ઓછી પડતી હોય છે ત્યારે વધુમાં વધુ સત્સંગમાં જઈને જ્ઞાન ગ્રહણ કરવું જોઈએ. તેનાથી આત્મસાક્ષાત્કારના માર્ગમાં પ્રગતિ થતી રહે છે. આમ સત્સંગ, જ્ઞાન શ્રવણ અને આત્મજ્ઞાની મહાપુરુષોના સંગને તેમણે આધ્યાત્મિક પ્રગતિ માટે મહત્વના ગણાવ્યા હતા. આ તકે તેમણે શ્રીમદ્ રાજચંદ્ર મિશન-ધરમપુરના સ્થાપક આચાર્ય રાકેશભાઈજી, રાજકોટના રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી તથા બી.એ.પી.એસ. સંસ્થાના પ્રમુખ અપૂર્વમુનિ સ્વામીનુ સન્માન કર્યું હતુ.
સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત તેજ કરવામાં આવી છે. જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાની કુલ 301 બેઠકો માટે ભાજપના 1,080 દાવેદારોએ ટિકિટની માંગ કરી છે. હાલ આ તમામ દાવેદારોની પેનલ તૈયાર કરી ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મોકલવામાં આવી છે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ હિંમતનગરમાં બે નિરીક્ષકોની ટીમ દ્વારા બે દિવસ સુધી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સંભવિત ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવી છે. હવે ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આખરી ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવશે. બેઠકો અને દાવેદારોનું ગણિતજિલ્લા ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિવિધ સ્તરે દાવેદારો: જિલ્લા પંચાયત: 34 બેઠકો માટે 181 દાવેદારો. તાલુકા પંચાયત: 8 તાલુકા પંચાયત (પ્રાંતિજ, વડાલી, ખેડબ્રહ્મા, તલોદ, પોશીના, ઇડર, હિંમતનગર અને વિજયનગર)ની કુલ 170 બેઠકો માટે 567 દાવેદારો. નગરપાલિકા: હિંમતનગર, ઇડર, વડાલી અને પ્રાંતિજ (પેટાચૂંટણી) મળી કુલ 97 બેઠકો માટે 332 દાવેદારો. હિંમતનગર નગરપાલિકામાં વોર્ડ દીઠ ખેંચતાણહિંમતનગર નગરપાલિકાના 11 વોર્ડની ચૂંટણી યોજાવાની છે. જેમાં વોર્ડ નંબર 3 ને બાદ કરતા બાકીના 10 વોર્ડની 40 બેઠકો પર 182 દાવેદારો વચ્ચે સ્પર્ધા છે. સૌથી વધુ 28-28 દાવેદારો વોર્ડ નંબર 1 અને 10 માં નોંધાયા છે. વોર્ડ મુજબ દાવેદારોની સ્થિતિ: ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપમાં ટિકિટ મેળવવા માટે કાર્યકરો અને સ્થાનિક નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે સૌની નજર ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણય પર ટકેલી છે.
મહેસાણા નગરપાલિકાનો મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ વિકાસની પ્રક્રિયા તેજ બની છે પરંતુ, આ વિકાસ હવે ખેડૂતો માટે મુસીબત સમાન સાબિત થઈ રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અને નવનિર્મિત મહાનગરપાલિકામાં ભળેલા નાનકડા ઉચરપી ગામના ખેડૂતોમાં વહીવટીતંત્રના રોડ પ્રોજેક્ટ્સને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગામની આસપાસ એક-બે નહીં પણ પાંચ જેટલા મોટા રોડ પસાર થવાના હોવાથી ખેડૂતોએ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો મક્કમ નિર્ણય કર્યો છે. એક કિલોમીટરના અંતરમાં પાંચ મોટા રોડની જાળઉચરપી ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર ગામની અત્યંત નજીકથી ભારતમાલા હાઈવે, શામળાજી-હિંમતનગર હાઈવે, મહેસાણા રિંગ રોડ અને મહાનગરપાલિકાના બે મોટા ટીપી રોડ પસાર થવાના છે. નવાઈની વાત એ છે કે આ તમામ રોડ વચ્ચેનું અંતર એક કિલોમીટર કરતા પણ ઓછું છે. આ આડેધડ આયોજનને કારણે ખેડૂતોની કિંમતી જમીનો કપાતમાં જઈ રહી છે. ખેડૂતોનો આરોપ છે કે, ટીપી સ્કીમના કારણે પહેલાથી જ 40 ટકા જમીન કપાતમાં ગઈ છે.અને હવે આ નવા હાઈવે પ્રોજેક્ટ્સને લીધે ખેડૂતો પાસે આંગળીના વેઢે ગણાય તેટલી જમીન પણ બચશે નહીં. પશુપાલન અને ખેતી પર સંકટસ્થાનિક ખેડૂત આગેવાન ભરતભાઈ ચૌધરી અને શંકરભાઈ ચૌધરીએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ઉચરપી ગામના મોટાભાગના પરિવારો પાસે સરેરાશ 2 થી 4 વીઘા જમીન જ છે. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. જો આટલા મોટા પાયે જમીન સંપાદન કે કપાત થશે તો 60 ટકાથી વધુ ખેડૂતો જમીન વિહોણા થઈ જશે. જમીન વગર પશુઓને ક્યાં રાખવા અને તેમનો ચારો ક્યાંથી લાવવો તે મોટો પ્રશ્ન છે.જેના કારણે પશુપાલનનો વ્યવસાય પણ સંપૂર્ણપણે ઠપ થઈ જવાની ભીતિ છે. બિનજરૂરી રોડ રદ કરવા માંગખેડૂતોની સ્પષ્ટ રજૂઆત છે કે, રિંગ રોડની કોઈ જરૂરિયાત જણાતી નથી કારણ કે, તેની બિલકુલ નજીકથી અન્ય હાઈવે પસાર થઈ રહ્યા છે. સરકાર દ્વારા કરવામાં આવેલું આ આયોજન ખેડૂતોને પાયમાલ કરનારું હોવાનું જણાવી ખેડૂતોએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આ બિનજરૂરી રોડના પ્રોજેક્ટ રદ કરવામાં નહીં આવે તો તેઓ આગામી સમયમાં ચૂંટણીનો સદંતર બહિષ્કાર કરશે અને ન્યાય માટે ઉગ્ર લડત આપશે.
રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા અનેક જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે છે. આગામી 6 અને 7 એપ્રિલે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પવનની ગતિમાં વધારો પણ થઈ શકે છે અને ત્યારબાદ 8 એપ્રિલથી તાપમાનમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ માછીમારોને 6 અને 7 એપ્રિલે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દ્વારકા, જામનગર, રાજકોટ, દાહોદ અને પંચમહાલમાં કમોસમી વરસાદની આગાહીરાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી હવામાનમાં ફરી એકવાર પલટો આવશે. હવામાન વિભાગ દ્વારા 7 એપ્રિલે દ્વારકા, જામનગર, રાજકોટ, દાહોદ અને પંચમહાલ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પાટણ જિલ્લાઓમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ગરમીનો માહોલ જોવા મળતો હતો. પરંતુ કમોસમી વરસાદથી તાપમાનમાં થોડો ઘટાડો થવાની શક્યતા છે. માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી6 અને 7 એપ્રિલ દરમિયાન પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થશે. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર વધુ જોવા મળી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયામાં ઊંચી તરંગો અને તેજ પવનને કારણે જોખમ વધવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાન આશરે 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની આગાહી છે. જો કે ત્રણ દિવસ બાદ વાતાવરણમાં ફરી પલટો આવશે તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશેહવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહી છે. જેની અસર રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળવાની છે. દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળવાની છે. 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદ થઈ શકે છે. ધીમે-ધીમે તાપમાનમાં વધારો નોંધાઈ શકેવધુમાં પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, જે બાદ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાનમાં કોઈપણ પ્રકારનો ખાસ બદલાવ આવ્યો નથી. સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય કરતા તાપમાન ઓછું જોવા મળી રહ્યું છે. 3 દિવસ સુધી કોઈ બદલાવ આવશે નહીં જે બાદ ધીમે ધીમે તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. આવતીકાલથી બે દિવસ 60થી 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં 35 ડિગ્રી અને ગાંધીનગરમાં 34 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.
સુરત મનપાની ચૂંટણી, AAPના 75 મૂરતિયા જાહેર:2021માં પાર્ટીએ 27 બેઠકો જીતી હતી, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો જંગ જામ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકા માટે પોતાના પત્તા ખોલી દીધા છે. રવિવારે AAPના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ સુરતના વિવિધ વોર્ડ માટે કુલ 75 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી છે. આ સાથે જ પાર્ટીએ દાવો કર્યો છે કે સુરત ગુજરાતની એવી પ્રથમ મહાનગરપાલિકા બનશે જ્યાં આમ આદમી પાર્ટીનો મેયર સત્તા સંભાળશે. ભાજપના ગઢમાં AAPનો પડકારમનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, સુરત હંમેશા ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્ર રહ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર અને કુશાસન વધ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સુરત એક ગ્લોબલ સિટી હોવા છતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાયાની સુવિધાઓના મામલે અન્યાયનો ભોગ બન્યું છે. સુરતની જનતા હવે પરિવર્તન ઈચ્છે છે. ભાજપના ભ્રષ્ટાચારી શાસન સામે આમ આદમી પાર્ટી એક મજબૂત અને ઈમાનદાર વિકલ્પ તરીકે ઉભરી આવી છે. પહેલી યાદીની મુખ્ય વિશેષતાઓ 75 ઉમેદવારો: પાર્ટીએ પ્રથમ યાદીમાં જ 75 નામોની જાહેરાત કરીને પોતાની સક્રિયતા સાબિત કરી છે. નવા ચહેરાઓને સ્થાન: યાદીમાં શિક્ષિત, સક્રિય અને જનતાની વચ્ચે રહેતા સ્થાનિક કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું મનાય છે. ટકાઉ વિકાસનો એજન્ડા: AAPએ પારદર્શક વહીવટ અને દિલ્હી-પંજાબ મોડલની જેમ પાયાની સુવિધાઓ (શિક્ષણ, આરોગ્ય) પર ભાર મૂકવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સુરતનો મેયર AAPનો હશે- મનોજ સોરઠિયાઆમ આદમી પાર્ટીએ આ વખતે રણનીતિ બદલી છે. મનોજ સોરઠીયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સુરતના લોકો આ વખતે માત્ર વિપક્ષ તરીકે નહીં, પરંતુ શાસક પક્ષ તરીકે AAPને પસંદ કરશે. તેમણે જણાવ્યું કે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ લેવલ પર મહેનત કરી રહ્યા છે અને આ ચૂંટણીમાં ભાજપના વર્ષો જૂના શાસનનો અંત આવશે. ઉમેદવારોને અભિનંદન અને આગામી રણનીતિયાદી જાહેર કર્યા બાદ સોરઠીયાએ તમામ પસંદ થયેલા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા અને જીત માટે અગ્રિમ શુભેચ્છાઓ આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં બાકી રહેલી બેઠકો માટે પણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે અને પાર્ટી પૂરી તાકાત સાથે પ્રચાર મેદાનમાં ઉતરશે. સુરત મનપામાં અગાઉ વિપક્ષ તરીકે મજબૂત પકડ બનાવ્યા બાદ, હવે AAP સીધી સત્તા કબજે કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. 75 ઉમેદવારોની આ યાદી ભાજપ અને કોંગ્રેસ બંને માટે ચિંતાનો વિષય બની શકે છે. AAPની પ્રથમ યાદીમાં જ્ઞાતિગત સમીકરણો અને અનુભવનો સમન્વય પૂર્વ વિપક્ષી નેતાઓ અને સમાજ રત્નોને મેદાનમાં ઉતારાયાસુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP) એ પોતાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે. જાહેર કરવામાં આવેલી 75 ઉમેદવારોની પ્રથમ યાદીમાં પાર્ટીએ જ્ઞાતિગત સમીકરણો, સામાજિક પ્રતિષ્ઠા અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ચહેરાઓ પર દાવ ખેલ્યો છે. આ યાદીમાં પૂર્વ કોર્પોરેટરોથી લઈને એડવોકેટ્સ અને સામાજિક અગ્રણીઓનો સમાવેશ કરીને AAPએ ભાજપના ગઢમાં ગાબડું પાડવાની તૈયારી કરી છે. અનુભવી નેતૃત્વ પર ભરોસોપાર્ટીએ ગત ટર્મમાં મનપામાં આક્રમક ભૂમિકા ભજવનાર પૂર્વ કોર્પોરેટરોને ફરી મેદાનમાં ઉતાર્યા છે. જેમાં પાયલ સાકરીયા પૂર્વ વિપક્ષ નેતા, મહેશ અણધણ પૂર્વ વિપક્ષ ઉપનેતા, રચનાબેન હીરપરા પૂર્વ વિપક્ષ દંડક છે. આ ત્રણેય નેતાઓએ મનપામાં શાસક પક્ષ સામે જનતાના પ્રશ્નો ઉઠાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સમાજ અને જ્ઞાતિના પ્રતિષ્ઠિત ચહેરાઓAAP એ સુરતના વિવિધ સમાજોને પ્રતિનિધિત્વ આપીને 'સર્વસમાજ'ની રણનીતિ અપનાવી છે. મૂળ સુરતી અને ઓબીસી ચહેરા મોઢ ઘાંચી સમાજમાંથી પ્રદેશ પ્રવક્તા ચિત્રેશ અનાજવાલા, રાણા સમાજમાંથી જતીન જરીવાલા અને અમિત રાણાને ટિકિટ અપાઈ છે. પાટીદાર અને સંસ્થાકીય જોડાણમાં ઉમિયાધામ મંદિર (વરાછા) ના લીગલ સેલ કન્વીનર જયંતી પટેલના પુત્ર એડવોકેટ રૂબીન પટેલ, SPG સાથે જોડાયેલા વીણાબેન પટેલ અને મોનિકા સંઘવીનો સમાવેશ થાય છે. ઓબીસી અને અન્ય સમાજસગર સમાજના પ્રખર વક્તા તુલસી લાલૈયા, આહીર સમાજમાંથી રમેશ જીંજાળા, પ્રવિણ કાતરિયા અને અસ્મિતા કાતરિયાને સ્થાન મળ્યું છે. પ્રજાપતિ અને કોળી સમાજમાં પ્રજાપતિ સમાજમાંથી ભરત પ્રજાપતિ, BAPS સંસ્થાના અનુયાયી પંકજ આંબલીયા સહિત 5 ઉમેદવારો અને કોળી સમાજમાંથી ઉષા ગોહિલ સહિત 3 મહિલા ચહેરાઓને મેદાનમાં ઉતારાયા છે. શિક્ષિત અને વ્યવસાયિક ઉમેદવારોની બોલબાલાપાર્ટીએ બૌદ્ધિક વર્ગને આકર્ષવા માટે મોટી સંખ્યામાં એડવોકેટ્સ અને શિક્ષિત યુવાનોની પસંદગી કરી છે. મહારાષ્ટ્રીયન સમાજમાંથી એડ. વિલાસ પાટીલ, એડ. ભૂપત કોડીયાતર, એડ. મુમતાઝ મુલતાની અને એડ. શાહીન મલેક જેવા કાયદાના જાણકારોને ટિકિટ મળી છે. યુવા અને આદિવાસી નેતૃત્વવોર્ડ નં. 3 થી આંતરરાષ્ટ્રીય સ્તરે આદિવાસી યુવાઓનું પ્રતિનિધિત્વ કરતા અને શૈક્ષણિક રીતે સજ્જ (BSC, B.ed.) પ્રકાશ ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે. શહેરના બ્રહ્મ સમાજમાંથી શ્રવણ જોશી, મહેન્દ્ર રાજપુરોહિત અને જાગૃતિ જાનીને સ્થાન આપીને AAPએ મધ્યમ વર્ગ અને પ્રબુદ્ધ વર્ગના મતો મેળવવા કવાયત તેજ કરી છે. તેમજ બારોટ સમાજમાંથી કલ્પેશ બારોટ પર પસંદગી ઉતારવામાં આવી છે. આમ આદમી પાર્ટીની આ યાદીમાં માત્ર કાર્યકર્તાઓ જ નહીં પરંતુ સમાજમાં ઊંડી પકડ ધરાવતા લોકોનો સમાવેશ કરાયો હોવાથી સુરત મનપાનો જંગ આ વખતે ત્રિપાંખિયો અને રસપ્રદ બનશે. મનોજ સોરઠીયાના મતે, આ ઉમેદવારોની પસંદગી સુરતને ભ્રષ્ટાચાર મુક્ત કરવાના પાયાના પથ્થર સાબિત થશે. આ પહેલા આમ આદમી પાર્ટી દ્વારા બે યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં અલગ અલગ મનપા માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જે યાદી નીચે મુજબ છે.
રાષ્ટ્રીય વહાણવટા દિવસની ઉજવણી:વેરાવળ બંદર પર ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે દેશભક્તિનો માહોલ
વેરાવળ બંદર ખાતે રાષ્ટ્રીય વહાણવટા દિવસની ઉજવણી કરવામાં આવી. ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમ પોર્ટ ઓફિસર હિરેન સોંદરવાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ વર્ષે મે મહિનામાં સેવા નિવૃત્ત થનારા પટાવાળા સતાર ગુલામ હુસેન બીલીમના હસ્તે ધ્વજવંદન કરીને ઉજવણીનો પ્રારંભ કરાયો. ધ્વજવંદન બાદ બંદર સુરક્ષા જવાનો, અધિકારીઓ અને સ્ટાફ દ્વારા તિરંગાને સલામી આપવામાં આવી હતી. સમગ્ર બંદર વિસ્તાર દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યો હતો. આ પ્રસંગે પોર્ટ ઓફિસર હિરેન સોંદરવાએ રાષ્ટ્રીય વહાણવટા દિવસનું મહત્વ સમજાવ્યું. તેમણે ભારતના વેપાર, અર્થતંત્ર અને વૈશ્વિક જોડાણમાં બંદરોની ભૂમિકા પર ભાર મૂક્યો. વેરાવળ બંદરના માછીમારી અને વેપાર ક્ષેત્રે મહત્વપૂર્ણ સ્થાનનો પણ ઉલ્લેખ કર્યો. ઉજવણીને વધુ આકર્ષક બનાવવા માટે દાંડીયા-રાસ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. કર્મચારીઓ અને ઉપસ્થિત લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન સાથે ઉજવણી પૂર્ણ કરવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્ત, દેશપ્રેમ અને એકતાનો સંદેશ પ્રસારિત થયો.
વેરાવળ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભોંય સમાજ દ્વારા લોકશાહી મૂલ્યોને જીવંત કરતી એક અનોખી પરંપરા જોવા મળી છે. સમાજમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો માટે પારદર્શક અને નિષ્પક્ષ મતદાન પ્રક્રિયા યોજી સમાજ સ્વીકૃતિ મેળવવાનો આ પ્રયોગ હવે એક સશક્ત પરંપરા બની ગયો છે. ભોંય સમાજના આગેવાન પટેલ હરગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, વેરાવળ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં સમાજના આશરે 5 હજાર જેટલા નિર્ણાયક મતદારો છે. આથી, સમાજમાંથી જ યોગ્ય અને સ્વીકાર્ય ઉમેદવાર રાજકીય પક્ષમાં આગળ આવે તે માટે વર્ષોથી આ લોકશાહી પદ્ધતિ અપનાવવામાં આવે છે. આ વખતે સમાજમાંથી બે મહિલા સહિત કુલ સાત દાવેદારોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, વ્યક્તિગત દાવેદારીને બદલે સમૂહની એકતા જળવાઈ રહે તે માટે સમાજ દ્વારા મતદાનથી ઉમેદવાર નક્કી કરવાની દિશામાં આગળ વધવામાં આવ્યું. તાજેતરમાં યોજાયેલી દાવેદારોની બેઠકમાં સમજુતીના માહોલ વચ્ચે પાંચ દાવેદારોએ પોતાનો દાવો પરત ખેંચ્યો હતો. આથી, ચૂંટણી હવે બે યુવા ચહેરાઓ વચ્ચે સીમિત રહી છે. સમાજ તરફથી રવિ જેન્તીલાલ વાઘેલા અને બ્રિજેશ રમેશભાઈ મહેતા એમ બે ઉમેદવારો વચ્ચે આજે રવિવારે ભોંય સમાજની વાડી ખાતે મતદાન યોજાયું. સવારે 8:30 વાગ્યાથી બપોરે 3:30 વાગ્યા સુધી બેલેટ પેપર મારફતે શિસ્તબદ્ધ રીતે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ સમગ્ર પ્રક્રિયા સમાજના પ્રમુખ અને પાંચ સભ્યોની સીધી દેખરેખ હેઠળ પારદર્શક રીતે યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ મતદાનમાં માત્ર પુરુષ મતદારોને જ મતદાનનો અધિકાર આપવામાં આવ્યો હતો, છતાં સમગ્ર આયોજનમાં શિસ્ત, સમરસતા અને જવાબદારીનો સુંદર સંગમ જોવા મળ્યો હતો. સાંજે મતગણતરી પૂર્ણ થયા બાદ જેને બહુમતી મળશે તે ઉમેદવારનું નામ સમાજ તરફથી સત્તાવાર રીતે રાજકીય પક્ષમાં મોકલાશે અને તેની ઉમેદવારી નોંધાશે. આ સાથે જ સમગ્ર સમાજ એકજૂટ બનીને પસંદ કરાયેલા ઉમેદવારને જીતાડવા માટે મેદાનમાં ઉતરી પડશે. ભોંય સમાજની આ પહેલ માત્ર ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા નથી, પરંતુ લોકશાહી મૂલ્યો, પારદર્શિતા અને સંગઠનની શક્તિનું જીવંત પ્રતિબિંબ છે. સમાજની અંદરથી જ નેતૃત્વ ઊભું કરવાની આ પદ્ધતિ અન્ય સમાજો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની શકે તેવી છે.
ટંકારામાં બે અલગ ઘટનામાં યુવાન અને આધેડના મોત:કારખાનામાં ચક્કર આવતા યુવાન, વીજ શોકથી આધેડનું નિધન
ટંકારા તાલુકામાં અપમૃત્યુના બે અલગ-અલગ બનાવ સામે આવ્યા છે. લજાઈ ગામે વીજ થાંભલા પર કામ કરતી વખતે વીજ શોક લાગવાથી એક આધેડનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે નસીતપર ગામે એક કારખાનામાં પાણી પીવા ગયેલા યુવાનને ચક્કર આવતા પડી જવાથી માથામાં ગંભીર ઈજા થતાં તેનું પણ સારવાર દરમિયાન નિધન થયું હતું. પ્રથમ બનાવમાં, ટંકારાના લજાઈ ગામે રહેતા ૫૧ વર્ષીય રામરાજસિંહ વિક્રમસિંહ ઝાલા ગત તા. ૧ ફેબ્રુઆરીના રોજ સાંજે ૬ વાગ્યાના અરસામાં વેણીયા સીમમાં પાણી વાળી રહ્યા હતા. તે દરમિયાન તેઓ વીજળીના થાંભલા પર ચડીને લાઈટનું કામ કરી રહ્યા હતા ત્યારે તેમને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. વીજ શોક લાગતા તેઓ થાંભલા પરથી નીચે પટકાયા હતા અને બેભાન થઈ ગયા હતા. તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર કારગત ન નીવડતા તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ હિતેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલાએ ટંકારા પોલીસને જાણ કરી હતી. બીજા બનાવમાં, મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ ટંકારા તાલુકાના નસીતપર ગામની સીમમાં આવેલ શ્રી નીલકંઠ પ્રિન્ટપેક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો ૪૦ વર્ષીય ચંદનસિંહ રામપ્રસાદ બંસકાર મજૂરી કામ કરતો હતો. ગત તા. ૪ એપ્રિલના રોજ તે નીલકંઠ કારખાનામાં પાણીના કુલર પાસે પાણી પીવા ગયો હતો. ત્યાં તેને અચાનક ચક્કર આવતા તે પડી ગયો હતો અને તેના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ આકાશભાઈ રાજુભાઈ બંસકાર (ઉં.વ. ૨૨, મૂળ મધ્યપ્રદેશ) દ્વારા ટંકારા પોલીસને કરવામાં આવી હતી.
ખેડા ટોલ પાસે થાર-ઈકો અકસ્માત, 10 ઘાયલ:ઈકો પલટી ખાતાં ત્રણની હાલત ગંભીર, થાર ચાલક ફરાર
અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર ખેડા ટોલ પ્લાઝા નજીક રવિવારે એક રુંવાડા ઉભા કરી દે તેવો અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ગતિએ દોડતી થાર ગાડીના ચાલકે આગળ જઈ રહેલી ઈકો ગાડીને પાછળથી જોરદાર ટક્કર મારતાં ઈકો ગાડી હાઈવે પર જ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઈકોમાં સવાર કુલ 10 મુસાફર ઘાયલ થયા છે, જે પૈકી 3ની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પૂરપાટ ઝડપે આવતી થારે સંતુલન ગુમાવ્યું ઘટનાની વિગતો અનુસાર, ઈકો ગાડી હાઈવેની પ્રથમ લેનમાં પોતાની નિર્ધારિત ઝડપે જઈ રહી હતી. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક થાર ગાડીના ચાલકે અચાનક સંતુલન ગુમાવ્યું હતું અને ઈકો ગાડીના પાછળના ભાગે પ્રચંડ ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ઈકો ગાડી હવામાં ફંગોળાઈને માર્ગ પર જ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને પગલે હાઈવે પર ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 10 મુસાફર ઘાયલ, 3 ગંભીર ઈકો ગાડીમાં સવાર કુલ 10 મુસાફરને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર, 10 પૈકી 7 મુસાફરને સામાન્ય ઈજા થઈ છે, જ્યારે 3 મુસાફરની હાલત ગંભીર હોવાથી તેમની સઘન સારવાર ચાલી રહી છે. થાર ચાલકની માનવતાહીનતા: ડિવાઈડર કૂદાવી ફરાર પ્રત્યક્ષદર્શી હિતેશ પટેલના જણાવ્યા મુજબ, અકસ્માત સર્જ્યા બાદ થારનો ચાલક ઉભો રહેવાને બદલે માનવતા નેવે મૂકીને ફરાર થઈ ગયો હતો. તેણે પોતાની ગાડી ડિવાઈડર પર ચડાવી દઈ સામેના ટ્રેક પર કૂદાવી હતી અને નડિયાદ તરફ અત્યંત ઝડપે હંકારી મૂકી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, થાર ગાડીના બમ્પરનો કેટલોક ભાગ પણ ઘટનાસ્થળે તૂટીને પડી ગયો હતો. હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી અકસ્માતને કારણે નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ ખેડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પલટી ખાયેલી ઈકો ગાડીને ખસેડી ટ્રાફિક હળવો કરાવ્યો હતો. પોલીસે ફરાર થારચાલક વિરુદ્ધ ગુનો નોંધી, ગાડીના નંબર અને સ્થળ પરથી મળેલા પુરાવાઓના આધારે તેની શોધખોળ હાથ ધરી છે.
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન માલસામાનના પરિવહન અને પાર્સલ આવકના ક્ષેત્રમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. ડિવિઝને તેના ઈતિહાસમાં પ્રથમ વખત રૂ. 15 કરોડની આવકનો આંકડો વટાવીને વ્યાપારી ક્ષેત્રે નવો બેન્ચમાર્ક સ્થાપિત કરી દીધો છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીના દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, ગત નાણાકીય વર્ષમાં ડિવિઝને કુલ રૂ. 15.05 કરોડની આવક મેળવી છે. આ આંકડો પાછલા નાણાકીય વર્ષ 2024-25ની રૂ. 10.54 કરોડની આવકની તુલનાએ 43.10%નો તોતિંગ અને નોંધપાત્ર વધારો દર્શાવે છે. વ્યૂહાત્મક આયોજન અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ રાજકોટ ડિવિઝનની આ ઐતિહાસિક સફળતા પાછળ ઉપલબ્ધ સંસાધનોનું સુવ્યવસ્થિત સંચાલન અને આધુનિક વ્યૂહરચના જવાબદાર છે. ડિવિઝન પાસે રહેલી 42 જેટલી અસ્કયામતો (Assets) નો મહત્તમ અને પૂર્ણ ઉપયોગ સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો. આ આયોજનને કારણે કાર્યક્ષમતામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. રેલવે તંત્ર દ્વારા ખાસ કરીને લોડિંગ ક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેના પરિણામે રેલવેની ખાલી રહેતી જગ્યાઓનો આવક પેદા કરવા માટે ઉપયોગ થઈ શક્યો છે. સંસાધનોના અસરકારક ઉપયોગના ભાગરૂપે, ડિવિઝને પ્રથમ વખત 24 ટનની ક્ષમતા ધરાવતી 34 પાર્સલ વેન (VP) ને વિવિધ ટ્રેનો સાથે જોડીને તેનું કુશળ સંચાલન કર્યું હતું. આ વધારાની પાર્સલ વેનને કારણે 765.16 ટન વધારાના માલનું લોડિંગ શક્ય બન્યું હતું, જેના દ્વારા રેલવેની તિજોરીમાં રૂ. 66.09 લાખની વધારાની આવક ઉમેરાઈ છે. આ વ્યૂહરચનાને કારણે ડિવિઝન ટ્રાફિકના નવા સ્ત્રોતો શોધવામાં અને જૂના ગ્રાહકોને વધુ સુવિધા આપવામાં સફળ રહ્યું છે. પરિવહન કરવામાં આવેલી વિવિધ ચીજવસ્તુઓ રાજકોટ અને આસપાસના વિસ્તારોના ઉદ્યોગો માટે રેલવે હવે પરિવહનનું પ્રથમ પસંદગીનું માધ્યમ બની રહ્યું છે. ડિવિઝન દ્વારા વિવિધ પ્રકારની ચીજવસ્તુઓનું સલામત અને ઝડપી પરિવહન કરવામાં આવ્યું છે, જેમાં અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે. ઇમિટેશન જ્વેલરી: રાજકોટના પ્રખ્યાત ઇમિટેશન ઉદ્યોગને આ સેવાનો મોટો લાભ મળ્યો છે. બ્રાસ પાર્ટ્સ (પિત્તળના ભાગો): જામનગર અને આસપાસના વિસ્તારોમાંથી બ્રાસ પાર્ટ્સનું મોટા પાયે લોડિંગ થયું છે. ઓટોમોબાઈલ અને ટેક્સટાઇલ: ઓટો પાર્ટ્સ અને કાપડના પરિવહનમાં પણ વધારો નોંધાયો છે. ખાદ્ય સામગ્રી: શાકભાજી, ફળો અને જલ્દી બગડી જાય તેવી વસ્તુઓ (Perishable Items) માટે રેલવેએ ઝડપી પરિવહન સુનિશ્ચિત કર્યું છે. ઘરવખરીનો સામાન: સામાન્ય જનતા માટે ઘરવખરીના સામાનનું પરિવહન પણ સરળ બનાવવામાં આવ્યું છે.માલના જથ્થાની દ્રષ્ટિએ જોઈએ તો, નાણાકીય વર્ષ 2025-26માં 4,55,555.05 ક્વિન્ટલ માલનું લોડિંગ કરવામાં આવ્યું હતું, જે પાછલા વર્ષના 3,59,288.01 ક્વિન્ટલની સરખામણીએ ઘણું વધારે છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે વેપારીઓનો વિશ્વાસ રેલવે પર વધી રહ્યો છે. ડિજિટલ ક્રાંતિ અને ગ્રાહક સુવિધામાં આધુનિકીકરણ રાજકોટ ડિવિઝને માત્ર આવકમાં નહીં, પરંતુ વહીવટી પારદર્શિતામાં પણ ક્રાંતિકારી ફેરફારો કર્યા છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રાહકોના અનુભવને વધુ બહેતર બનાવવામાં આવ્યો છે. 1. કેશલેસ ટ્રાન્ઝેક્શન (95% થી વધુ): વડાપ્રધાનના ડિજિટલ ઈન્ડિયાના અભિગમને સાર્થક કરતા, પાર્સલ આવકનો **95%** થી વધુ હિસ્સો હવે ડિજિટલ પેમેન્ટ માધ્યમથી પ્રાપ્ત થાય છે. આનાથી રોકડ વ્યવહારમાં થતી મુશ્કેલીઓ ઘટી છે અને પારદર્શિતા વધી છે. 2. 100% કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ: સમગ્ર ડિવિઝનમાં પાર્સલ સિસ્ટમને સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝ્ડ કરી દેવામાં આવી છે. આનાથી માનવીય ભૂલોની શક્યતા ઘટી છે અને હિસાબ-કિતાબ વધુ સચોટ બન્યો છે. 3. લાઈવ ટ્રેકિંગ અને SMS એલર્ટ: ગ્રાહકોને હવે તેમના પાર્સલના લોકેશન માટે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. સિસ્ટમ દ્વારા પાર્સલનું લાઈવ ટ્રેકિંગ અને રસીદના મેસેજ સીધા ગ્રાહકના મોબાઈલ પર મોકલવામાં આવે છે. આ સુવિધાને કારણે ડિલિવરી પ્રક્રિયા વધુ સુરક્ષિત અને ઝડપી બની છે. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ આ સફળતાને ટીમવર્કનું પરિણામ ગણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, રેલવેના દરેક કર્મચારી અને અધિકારીના સમર્પણને કારણે આ ઐતિહાસિક લક્ષ્યાંક પ્રાપ્ત થયો છે. ડિવિઝનનો ઉદ્દેશ્ય માત્ર આવક વધારવા માટેનો નથી, પરંતુ ગ્રાહકોને ઓછા ખર્ચે અને સુરક્ષિત રીતે માલ પહોંચાડવાની સુવિધા આપવાનો પણ છે.ગ્રાહક-કેન્દ્રી સેવાઓને કારણે જ આ નાણાકીય વર્ષમાં 43.10%નો ગ્રોથ જોવા મળ્યો છે. આગામી સમયમાં ડિવિઝન દ્વારા વધુ નવી ટ્રેનોમાં પાર્સલ વેન જોડવાની અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે વધુ આધુનિક સુવિધાઓ વિકસાવાની યોજના છે. આ સિદ્ધિ ભારતીય રેલવેના નકશામાં રાજકોટ ડિવિઝનની એક વિશિષ્ટ અને મજબૂત ઓળખ ઉભી કરશે.
વડોદરા શહેરમાં અવાર નવાર જુગાર,દારૂ સાથે અનૈતિક પ્રવૃત્તિ સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે.ત્યારે ભગવાનના મંદિર પાછળ પત્તાથી જુગાર રમતા પાંચ આરોપીઓને બાપોદ પોલીસે ઝડપી પાડ્યા હતા. મંદિર પાછળ જુગાર રમતા સમયે પોલીસની રેડશહેરમાં દારૂ-જુગારની અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે પોલીસ વિભાગે અભિયાન ચલાવ્યું છે.આ અંતર્ગત બાપોદ પોલીસ સ્ટેશનની ટીમે આજવા રોડ પરના લક્ષ્મીનગર વિસ્તારમાં શંકર ભગવાન મંદિર પાછળની ખુલ્લી જગ્યામાં પત્તાથી જુગાર રમતા પાંચ આરોપીને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે. બાપોદ પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.યુ.પસ્તાગીયાની આગેવાનીમાં સ્ટાફે વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી વખતે લોકરક્ષક પુષ્પરાજસિંહને મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. રોકડ, ચાર મોબાઇલ સહિત કુલ 49,220 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો.ઝડપાયેલા આરોપીઓની વિગતસુનીલ માછી (રહે. લક્ષ્મીનગર, સરદાર એસ્ટેટ પાછળ, આજવા રોડ, વડોદરા)અરૂણ વસાવા (રહે. ચોખડી નાની શાક માર્કેટ પાસે, ઝુપડું, વાડી, વડોદરા)હર્ષદ માછી (રહે. મ.નં-272, લક્ષ્મીનગર, સરદાર એસ્ટેટ પાછળ, આજવા રોડ, વડોદરા)પ્રવીણરાજપુત (રહે. બ્લોક નં-13, મ.નં-04, શક્તિના વુડાનું મકાન, વડોદરા)અજય રાવલ (રહે. મ.નં-106, બંસીધર હાઈટ્સ, સયાજીપાર્ક પાસે, આજવા રોડ, વડોદરા)
જામનગરમાં અસામાજિક તત્વો સામે રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે કડક કાર્યવાહી કરી છે. તાજેતરમાં થયેલી મારામારી અને ફાયરિંગની ઘટના બાદ એક્શન મોડમાં આવેલા આઈ.જી.એ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં સક્રિય બે ગેંગ પર ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગુનો નોંધ્યો છે. રાજકોટ રેન્જ આઈ.જી. તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ નિર્લિપ્ત રાયે જામનગરની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાતના માત્ર 10 દિવસમાં જ તેમણે શહેરના વોર્ડ નંબર 12ના બે મુખ્ય જૂથો સામે આ કડક પગલાં લીધા છે, જેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બની છે. શહેરના અતિ સંવેદનશીલ પટણીવાડ અને આસપાસના વિસ્તારોમાં આતંક મચાવતી બે મુખ્ય ગેંગ પર ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે. આમાં પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજીની આગેવાની હેઠળની ગેંગ અને અલ્તાફ ખફી તથા તેના સાગરીતોની ગેંગનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બંને ગેંગના કુલ 30 જેટલા શખ્સો સામે ગુજસીટોક દાખલ કરવામાં આવ્યો છે. રેન્જ આઈ.જી.ની સૂચના બાદ પોલીસે પટણીવાડ વિસ્તારમાં વહેલી સવારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અસલમ ખીલજી સહિત કુલ 9 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, અલ્તાફ ખફી અને તેના સાગરીતો હાલ જેલમાં જ છે, તેમની સામે પણ જેલમાંથી જ ગુજસીટોક હેઠળ કાર્યવાહી આગળ વધારવામાં આવી છે. થોડા દિવસો પહેલા આ સંવેદનશીલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે સામસામે મારામારી અને ફાયરિંગની ઘટના બની હતી, જેના પગલે આઈ.જી. રાયે તાબડતોબ જામનગર દોડી આવીને કાર્યવાહીની રણનીતિ ઘડી હતી. નોંધનીય છે કે રાજકોટ રેન્જ આઈ.જી.નો ચાર્જ સંભાળ્યા બાદ નિર્લિપ્ત રાયની આ ત્રીજી અને જામનગર જિલ્લામાં પ્રથમ ગુજસીટોકની કાર્યવાહી છે. આ કડક કાર્યવાહીને પગલે શહેરના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને અનેક માથાભારે તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જામનગરની જનતાએ પોલીસની આ આક્રમક શૈલીને કારણે રાહતનો શ્વાસ લીધો છે.
સુરત શહેરની સહકારી બેંકિંગ ક્ષેત્રની જાયન્ટ ગણાતી વરાછા કો-ઓપરેટિવ બેંકમાં આજે ઈતિહાસ રચાયો છે. 6000 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી બેંકની સ્થાપનાથી અત્યાર સુધી હંમેશા બિનહરીફ વરણી થતી આવી છે, પરંતુ આ વખતે 31 વર્ષમાં પ્રથમવાર મતદાનની નોબત આવી છે. 12 બેઠકો માટે મેદાનમાં ઉતરેલા 17 ઉમેદવારોના ભાવિ આજે પેટીમાં કેદ થયા છે. સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિઓ મતદાન કરવા પહોંચતા લોકસભા-વિધાનસભા જેવો માહોલ વરાછાના કાપોદ્રા ધારૂકા કોલેજ અને આસપાસના વિસ્તારોમાં જોવા મળ્યો હતો. ઉદ્યોગપતિઓ મતદાન કરવા પહોંચ્યાસુરતના કાપોદ્રા ખાતે આવેલી ધારુકા કોલેજ કેમ્પસમાં વરાછા બેંકની ચૂંટણીનું મતદાન આજે સવારે 8:00 વાગ્યાથી ચાલી રહ્યું છે. સાંજે ચાર વાગ્યા સુધી મતદાન યોજાશે. સવારથી ચાલી રહેલા મતદાનમાં સૌરાષ્ટ્રવાસી હીરા ઉદ્યોગપતિઓ સહિતના વરાછા બેંકમાં સભાસદો હોવાથી મતદાન કરવા આવી રહ્યા છે. વલ્લભભાઈ સવાણી, મહેશ સવાણી, પૂર્વ મેર દક્ષેશ મવાણી, દિનેશ નાવડીયા સહિતના ઉદ્યોગપતિઓ મતદાન કરવા આવી ચૂક્યા છે. કેમ આ ચૂંટણી ઐતિહાસિક બની?વરાછા બેંકમાં કુલ 15 બેઠકો છે. નિયમ મુજબ ફોર્મ ખેંચવાની પ્રક્રિયા બાદ 3 બેઠકો પર સભ્યો બિનહરીફ થયા હતા. બાકીની 12 બેઠકો પર સહમતી સાધવા માટે છેલ્લા દિવસ સુધી કવાયત ચાલી હતી. જોકે, 5 અપક્ષ ઉમેદવારો પોતાની જીદ પર અડગ રહેતા અને ફોર્મ પરત ન ખેંચતા આખરે સહકાર પેનલ સામે ચૂંટણીનો જંગ છેડાયો છે. નંબર વગર પ્રચાર માટે 'તારણહાર' બન્યા કાર્યકરોઆ વખતે ચૂંટણીમાં સૌથી મોટો અવરોધ 'ડેટા પ્રોટેક્શન એક્ટ' બન્યો હતો. ડિજિટલ યુગમાં પહેલીવાર ઉમેદવારો પાસે મતદારોના મોબાઈલ નંબરની સત્તાવાર યાદી નહોતી. ઉમેદવારોએ મતદાર યાદીમાંથી 'અટક' મુજબ ડેટા અલગ તારવ્યો હતો. વોટ્સએપ ગ્રુપમાં લિંક્સ મોકલીને મતદારોને જોડવા પ્રયાસો થયા. 200થી વધુ કાર્યકરોની ફોજ ઉતારીને 25 હજારથી વધુ પરિવારોનો રૂબરૂ સંપર્ક કરાયો હતો. રાજકીય ચૂંટણી જેવો માહોલ: સોસાયટી વાઈઝ પ્રચારસામાન્ય રીતે સહકારી બેંકની ચૂંટણીમાં શાંત માહોલ હોય છે, પરંતુ અહીં દૃશ્યો અલગ હતા. દરેક સોસાયટી દીઠ મતદારોની યાદી બનાવી કાર્યકરોએ ડોર-ટુ-ડોર કેમ્પેઈન કર્યું હતું. મતદારોને રિઝવવા માટે પેનલ વાઈઝ કાર્ડ્સ અને સોશિયલ મીડિયા વીડિયોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને વરાછા વિસ્તારમાં સહકારી રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. બેંક મારી છે એવો સભાસદોને અહેસાસ, જબરદસ્ત મતદાન થઈ રહ્યું છેઃ કાનજીભાઈકાનજી ભાલાળાએ જણાવ્યું હતું કે, વરાછા કો-ઓપરેટિવ બેંકમાં 30 વર્ષ પછી યોજાયેલી આ પ્રથમવાર ઇલેક્શનનો જંગ થયો છે. પણ આજે જે પ્રકારે મતદાન થઈ રહ્યું છે, એ જોઈને ગૌરવ થાય કે લોકોને વરાછા બેંક પ્રત્યે ખૂબ લાગણીથી જોડાયેલા છે. આ બેંક મારી બેંક છે, એવો સભાસદોનો અહેસાસ અમને દેખાઈ રહ્યો છે એનો આનંદ છે. અને ખૂબ મોટી માત્રામાં, કદાચ અમને અપેક્ષા નહોતી એના કરતા પણ ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે, કારણ કે બેંકને સાચવવાની છે, બેંકની મજબૂતાઈ ટકાવવાની છે. ‘લોકોનો ઉત્સાહ જ અમને કામ કરવાની પ્રેરણા આપે છે’ આ લોકશાહી છે અને 30 વર્ષ પછી જ્યારે ઇલેક્શન જાહેર થયું, ત્યારે ઘણા બધાને એવું હોય કે ચાલોને આપણે પણ ઉમેદવારી કરીએ, બસ એવા ભાવથી થયેલી ઉમેદવારી અને એ મિત્રો પણ સામે ઊભા છે. પણ લોકોને બેંક માટેની જે લાગણી છે, એ ગમે એટલી સામે પેનલ હોય તોય આ પેનલ જીતવી જોઈએ એ ઉત્સાહ જ અમને આ કામ કરવાની પ્રેરણા આપે છે. ગેરવહીવટ કે સારો વહીવટ નથી એવા આક્ષેપોનો જવાબ સભાસદોએ આપ્યો છે. સભાસદોને વિશ્વાસ છે. ગેરવહિવટના આક્ષેપો વિશે તમે શું કહેશો?જે આક્ષેપ થયા છે ને એ આક્ષેપમાં એક પણ ટકા સત્યતા નથી, કદાચ એવો વિચાર પણ નહીં આવ્યો હોય. સભાસદોને સાચવવાનું કદાચ ભારતભરમાં વરાછા બેંક એવી બેંક છે કે એને વીમાથી સુરક્ષિત, અકસ્માત વીમાથી સુરક્ષિત કર્યા હોય એવી બેંક છે. વાત આવી કર્મચારીની, તો અમારા કર્મચારીઓને 25 લાખ, 50 લાખ ને 1 કરોડનો વીમો બેંકના કર્મચારીના માટે અપાતો હોય એવી ભારતભરની આ પ્રથમ બેંક છે. અડચણ તો ઇલેક્શનમાં સ્વાભાવિક હશે જ, પણ અમારા સભાસદો બેંકની સાથે ટટ્ટાર થઈને ઊભા છે ને એ જ બેંકની મજબૂતાઈ છે. શું લાગે છે કેટલું મતદાન થશે?જવાબમાં કાનજી ભાલાળાએ કહ્યું કે, મતદાન મને એવું લાગે છે કે 15,000 જેટલું મતદાન કુલ થવાની પૂરી શક્યતા છે. અમને એવું હતું કે 10,000 મતદાન થશે, પણ જે ઉત્સાહ જે રીતે આવી રહ્યા છે ને લાઈન ખૂટતી જ નથી એ જોતા એવું લાગે છે કે મતદાન ઘણું થશે. આ બેંકની ખરેખર બેંકની સાથે સભાસદો છે એનું આ પ્રૂફ છે. સભાસદો સુધી પહોંચવામાં કેટવી મુશ્કેલી મડી?ડેટા પ્રોટેક્શન એક્ટને કારણે ઉમેદવારોને સભાસદોના મોબાઈલ નંબર સાથેની યાદી મળી શકી નહોતી. પણ અમે આખું સોશિયલ મિકેનિઝમ સમાજનું એ રીતે જોડાયેલું છે; ગામના મંડળ, પરિવારના મંડળ, સોસાયટીના મંડળ અને એ મંડળના એડ્રેસ નીકળ્યા અને એ એડ્રેસને આધારે પોતાની પાસેના નંબર એને મેચ કરીને અમે સંપર્ક કરવાની પૂરી કોશિશ કરી છે. અમે અંદાજે 25,000 સભાસદો સુધી મોબાઈલથી કોન્ટેક્ટ કરી શક્યા છીએ. બે ઉમેદવારો વંડી ઠેકીને ઈ પેનલમાં જતાં ચૂંટણીની જરૂર પડીઃ હિતેશ જાસોલિયાપરિવર્તન પેનલ ઉમેદવાર હિતેશ જાસોલિયાએ જણાવ્યું કે, વરાછા બેંકની ઇલેક્શનમાં હું વાત કરું તો 31 વર્ષના શાસન બાદ આ પહેલીવાર ઇલેક્શન છે અને એકહથ્થુ શાસન છેલ્લા 15 વર્ષથી ચાલી રહ્યું છે. જ્યારે એકહથ્થુ શાસન ચાલતું હતું ત્યારે આ સહકાર પેનલના જ બે ઉમેદવારો જે અમારી પેનલમાં હતા અને વંડી ઠેકીને ઈ પેનલમાં વયા ગયા, ત્યારે આ ઇલેક્શન કરવાની ફરજ પડી છે. ‘લોકશાહી જીવંત રાખવા ચૂંટણી કરવી જરૂરી’આ કોઈ આ લોકશાહીના ભાગમાં અત્યારે આ કીડિયારું ઉભરાણું એ લોકશાહી બતાવે છે અને આને લોકશાહી કહેવાય. અમારો એક જ મુખ્ય ઉદ્દેશ્ય છે કે વ્યવસ્થા પરિવર્તન થવું જોઈએ. વ્યવસ્થા પરિવર્તન માટે સહકારના કાયદા છે, આ બંધારણના કાયદા છે કે લોકશાહી જીવંત રાખવા માટે ચૂંટણી ફરજિયાત કરવી જરૂરી છે. તો જ લોકશાહીમાં આપણે જીવી શકીએ, રહી શકીએ અને મતદાતાનો અધિકાર પણ રહી જાય અને જે બેંકમાં અત્યારે હું વાત કરું તો મારા મુદ્દા અને જે વંડીઓ ઠેકીને ગયા છે જે બે વ્યક્તિઓ સહકાર પેનલમાં, અમારા બધાના સાથે મુદ્દા એવા હતા કે આ દીકરીઓને 11 મહિનાના કરાર ઉપર આ વરાછા બેંક રાખે છે, જો દીકરીની જ તમે વાત કરતા હોવ તો હું આ ખુલ્લી મીડિયાના માધ્યમથી તમને આ ચેલેન્જ આપું છું કે હું તમને પત્ર લખીશ. ‘આ લડાઈ વંડીઓ ઠેકવા વાળા સામે છે’આ હું બંધ નથી થઈ જવાનો આ હજી શરૂઆત છે. આજે અમે જ્યારે પેનલ ઉભી કરી ત્યારે અમારા પેનલમાંથી અમારી તોડી અને વંડીઓ ઠેકીને જે વઈ જવા વાળા છે ને એની સામે અમે લડાઈ છે આ અમારી. આ સહકાર પેનલ જો સહકાર નહીં આપે તો આવતા પાંચ વર્ષે પણ ચૂંટણીમાં જંગ લડવા માટે તૈયાર જ રહેજો. ‘20-21ના ઓડિટ રિપોર્ટ કેમ નથી મૂકતા?’અને મારા સભાસદ ભાઈઓને વિનંતી કરું છું કે આપ ઊંડી તપાસ કરજો જે કઈ વેબસાઈટો સરકારની અથવા તો વરાછા બેંકની પબ્લિક ડોમેન હોય એમાં ચેક કરી લેજો. જે 20-21ના ઓડિટ રિપોર્ટ કેમ નથી મૂકતા? અને જે હમણાં વાર્ષિક રિપોર્ટ જે જાહેર કરે છે 2025નો ઓડિટ રિપોર્ટ, તો એમાં પણ થાપણ તમે જોઈ લેજો કે થાપણ આવે છે 800 કરોડ રૂપિયા જે 3300 કરોડ રૂપિયા અને 4400 કરોડ થાય છે તો 800 કરોડ રૂપિયાનું ફંડ, આ લોન તો લોકો લાઈનમાં છે તો 800 કરોડ રૂપિયા કેમ લોન આગળ નથી આપતા? ‘મતદાતા અમને ન જીતાડે તો પણ વાંધો નથી’આ પણ ઘણા સવાલ ઉત્પન્ન થાય છે પણ હવે અમે પાપા પગલી કરતા શીખ્યા હતા, હવે અમે આમાં ઊંડા ઉતરી અને સીડી પાંચ વર્ષમાં સીડી ચઢીને બતાવશું. જો અમે સીડી ન ચઢી શકીએ, આ મતદાતા અમને ન જીતાડે, અમને કોઈ વાંધો નથી, કોઈ અફસોસ નથી પણ વ્યવસ્થા પરિવર્તન કઈ રીતના થાય એ આવનારા પાંચ વર્ષમાં અમે જ બતાવીશું. ચૂંટણીમાં અમે હારી જઈએ તો મને કોઈ ગમ નથી અમે દિલ જીતી લીધા છે લોકોના. આ વ્યવસ્થા પરિવર્તન અને આ લોકશાહીને જીવંત રાખવાનો આ મુખ્ય ઉદ્દેશ્ય છે.
જામનગર શહેર નજીક ઠેબા બાયપાસ ચોકડી રોડ પર આજે એક મોટરકાર અને મુસાફરો ભરેલી રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં રિક્ષાચાલક સહિત કારમાં સવાર પરિવારના સભ્યોને ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ઠેબા બાયપાસ પાસે મોટરકાર અને રિક્ષા સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ તરત જ આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતમાં રિક્ષાચાલકને ઈજાઓ થઈ હતી, જ્યારે મોટરકારમાં સવાર પરિવારના સભ્યોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહનોની લાંબી કતારો લાગી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી અને રસ્તા પરથી ક્ષતિગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ કાંકરિયા–વટવા રેલખંડ પર NHSRCL (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ અંતર્ગત પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવાની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ ટેકનિકલ કામગીરી માટે વિશેષ બ્લોક લેવામાં આવ્યો હોવાથી, 04 એપ્રિલ 2026 થી 08 મે 2026 સુધી બે મુખ્ય ઇન્ટરસિટી ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે. જેમાં ટ્રેન નંબર 19036 મણિનગર – વડોદરા અને ટ્રેન નંબર 19035 વડોદરા – વટવા ઇન્ટરસિટી એક્સપ્રેસનો સમાવેશ થાય છે. ગુજરાત મેલના સ્ટોપેજમાં ફેરફારમાત્ર ટ્રેન રદ જ નહીં, પરંતુ લાંબા અંતરની ટ્રેનોના શિડ્યુલમાં પણ આંશિક ફેરફાર કરાયા છે. ટ્રેન નંબર 12902 અમદાવાદ – દાદર ગુજરાત મેલનો મણિનગર સ્ટેશન પરનો ઠેરાવ (Stoppage) 04 એપ્રિલ 2026 થી 08 મે 2026 સુધી અસ્થાયી રૂપે રદ કરવામાં આવ્યો છે. એટલે કે, આ સમયગાળા દરમિયાન ગુજરાત મેલ મણિનગર સ્ટેશન પર ઊભી રહેશે નહીં. મુસાફરો માટે સૂચનાઉનાળાની સિઝનમાં મુસાફરી કરનારા મુસાફરોને હાલાકી ન પડે તે માટે રેલવે તંત્ર દ્વારા અગાઉથી જાણ કરવામાં આવી છે. મુસાફરોને વિનંતી છે કે તેઓ પોતાની મુસાફરીનું આયોજન કરતા પહેલાં NTES એપ અથવા રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર ટ્રેનોની લેટેસ્ટ સ્થિતિ તપાસી લે.
કલોલ તાલુકાના છત્રાલ GIDC ફેઝ-2માં ભુગન લાઈફ સાયન્સ પ્રા.લી નામની કંપની સાથે અંદાજે 72.33 લાખ રૂપિયાની મોટી છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ ગુનામાં કંપનીના જ માર્કેટિંગ કર્મચારી અને કમિશન એજન્ટ રવિ ઓમપ્રકાશ કાલરા સહિત અન્ય છ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નાના ઓર્ડરો અપાવી વિશ્વાસ જીત્યા બાદ છેતરપિંડી આચરીકંપનીના ઓપરેશન હેડ તરીકે ફરજ બજાવતા મનન પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, હરિયાણાના અંબાલાનો રહેવાસી આરોપી રવિ કાલરાએ અગાઉ કંપનીના ડાયરેક્ટર સાથે સંપર્ક કરી માર્કેટિંગનું કામ કરવાની તૈયારી બતાવી હતી.જે અન્વયે શરૂઆતમાં નાના ઓર્ડરો અપાવી સમયસર પેમેન્ટ કરાવીને તેણે કંપનીનો વિશ્વાસ જીતી લીધો હતો. જેના પગલે ફેબ્રુઆરી 2024માં તેને માસિક 60 હજારના પગાર અને કમિશનની શરતે નોકરી પર રાખવામાં આવ્યો હતો. જોકે આ નિમણૂક બાદ રવિએ મળતિયાઓ સાથે મળીને કંપનીને આર્થિક નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડ્યું હતું. અન્ય રાજ્યની કંપનીના મોટા ઓર્ડરો અપાવ્યાબાદમાં રવિ કાલરાએ મે અને જૂન 2024 દરમિયાન હિમાચલ પ્રદેશ અને ચંદીગઢની વિવિધ કંપનીઓ જેવી કે મેડોક્ષ લાઈફ સાયન્સ,માસ્ટર હેલ્થ કેર,એરિયોન હેલ્થકેર અને નવકાર લાઈફ સાયન્સના મોટા ઓર્ડરો અપાવ્યા હતા.જેથી કંપનીએ વિશ્વાસ રાખી કુલ રૂ.72,33,636ની કિંમતનો ફાર્માસ્યુટીકલ રોમટીરીયલ્સનો માલ કુરિયર મારફતે મોકલી આપ્યો હતો. ઉઘરાણી છતાં નાણાં પરત ન મળ્યાઆ ઠગાઇના ભાગરૂપે પેમેન્ટની ખાતરી પેટે અપાયેલા ચેકો બેંકમાં ન નાખવા માટે આરોપીઓએ ટેકનિકલ ખામીના બહાના હેઠળ ગલ્લાતલ્લા કર્યા હતા.જોકે લાંબો સમય વીતવા છતાં અને વારંવારની ઉઘરાણી છતાં નાણાં પરત ન મળતા આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. આ સમગ્ર મામલે કલોલ તાલુકા પોલીસે રવિ કાલરા (રહે.અંબાલા), તરુણ જગ્ગી (રહે.કાંગરા), રજાક ખાન અને માજીદ ખાન (રહે.સોલન), અભય જૈન અને રવિ (રહે.ચંદીગઢ) તેમજ માજીદ મહોમ્મદ (રહે.બદ્દી) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારીએ વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. 90 લાખની લોન સામે 2.5 કરોડ રૂપિયા જેવી માતબર રકમ વ્યાજ પેટે ચૂકવી દીધી હોવા છતાં, ઉઘરાણી બંધ ન થતા આખરે વેપારીએ સલાબતપુરા દરગાહ પાસે ફિનાઈલ પી લીધું હતું. સુરતમાં આપઘાતનો પ્રયાસ કરતાં પહેલા કાપડના વેપારીએ 3 પેજની સુસાઈડ નોટ લખી છે અને એક વીડિયો પણ બનાવ્યો છે. જેમાં કાપડના વેપારીએ કહ્યું છે કે, મારી આ હાલત માટે ફક્ત ને ફક્ત જુનેદ જવાબદાર છે. વેપારીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યોભોગ બનનાર વેપારીના પુત્રના જણાવ્યા અનુસાર, વ્યાજખોર જુનેદની ઉઘરાણી એટલી હદે વધી ગઈ હતી કે પરિવારે પોતાની મિલકતો વેચીને પણ પૈસા ચૂકવ્યા હતા. આમ છતાં, જુનેદ દ્વારા સતત પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ દબાણ સહન ન થતા કાપડના વેપારીએ સલાબતપુરાની દરગાહ પાસે જઈ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે, તેમના મિત્રને જાણ થતા તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. 3 પેજની સુસાઈડ નોટ અને વીડિયોમાં વ્યથા ઠાલવીઆ પગલું ભરતા પહેલા કાપડના વેપારીએ અત્યંત ભાવુક અને ચોંકાવનારો 3 પાનાનો પત્ર (સુસાઈડ નોટ) લખ્યો હતો. આ ઉપરાંત, તેમણે એક વીડિયો પણ બનાવ્યો હતો જેમાં તેમણે પોતાની વ્યથા અને વ્યાજખોર જુનેદ દ્વારા આપવામાં આવતા ત્રાસની વિગતો વર્ણવી હોવાનું જાણવા મળ્યું છે. આ પુરાવાઓ હવે પોલીસ તપાસમાં મહત્વની કડી સાબિત થઈ શકે તેમ છે. વીડિયોમાં શું કહ્યું?મિત્રો મને માફ કરી દેજો, મારી પાસે હવે બીજો કોઈ રસ્તો રહ્યો નથી. હું અત્યારે આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. હું હવે બહુ જ કંટાળી ગયો છું. તમે બધાએ મારા માટે બહુ જ પ્રયત્નો કર્યા કે હું આ મુસીબતમાંથી બહાર નીકળી આવું, પણ હું ના નીકળી શક્યો. હવે મારી પાસે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ જ રસ્તો રહ્યો નથી. જુનૈદ ભાઈનું પૈસા માટેનું બહુ જ પ્રેશર છે, મારી પાસે એક રૂપિયો પણ નથી તો હું તેમને પૈસા ક્યાંથી આપીશ? આખા ગામને ખબર છે કે જે પણ પૈસા આપવાના છે તે અસલમ સબ્બીર આપશે, મેં તો ખાલી ગેરેંટી જ લીધી હતી. પણ હવે તે પૈસા નથી આપતા તો હું શું કરીશ? હું ક્યાંથી આપીશ? મારા જે પણ મિત્રો મારી પાસે પૈસા માંગે છે તે મને માફ કરી દેજો અને મારી ફેમિલીને હેરાન ના કરતા. બસ, મારા માટે આટલી દુવા કરજો. સુસાઇડ નોટ હું મારી મરજથી આપઘાત કરી રહ્યો છું. કેમ કે મારાથી જુનેદ ખોરાવાલાના પૈસા માટેનું પ્રેસર સહન થતું નથી. મારાથી ભૂલ થઈ હતી Feb-2025 માં. કે મેં મારા ભાઈ અને તેનો પાર્ટનર પાસેની લાગણીમાં આવી ગયો. તેમને જુનેદ ખોરાવાલા પાસેથી મારી જીમ્મેદારી પર એક પ્રોપર્ટી લોન લેવા માટે તેમજ 50 લાખ રોકડ અપાવ્યા હતાં. તેમાંથી મારા પિતાની અમન સોસાયટીની મિલકત વેચી 33,00,000 જમા કરાવી દીધા હતા. તેમજ તેમ છતાં 50 લાખમાંથી 16 લાખ બાકી નીકળ્યા અને Galaxyની પ્રોપર્ટીમાં 78 લાખ બાકી નીકળ્યા. ટોટલ 94 લાખ બાકી જુનેદભાઈએ અસલમ-શબીરને આપવાનાં બાકી નીકળ્યા. આ બંને પાર્ટનર પ્રોબ્લેમમાં આવતા આ પૈસાની ઉઘરાણી મારી પાસેથી ચાલુ થઈ. જ્યાં સુધી મેં પૈસા પુરા નહીં કર્યા ત્યાં સુધી દર મહીને 2,35,000 વ્યાજ (તેનો મતલબ વ્યાજ ગણાય)તે આપવાનું. અને મને બહુ જ દબાવ આપી જુનેદ ખોરાવાલાએ 78 લાખની જગ્યાએ 22 લાખ વધારે માંગી. 1 કરોડની રીક્ષી (રસીદ/લખાણ) કરાવી દીધી. મેં પણ અમુક રકમ જુનેદભાઈ પાસે લીધી હતી. તેમાંથી આ હપ્તાઓમાં અસલમ-શબીરના વ્યાજના 14 લાખ જેટલા મારા પાસેથી લઈ લીધા અને આ બે વર્ષમાં મેં મારા પોતાના લીધેલા પૈસાનું પણ 20 લાખ જેટલું વ્યાજ ભરી દીધું હતું. હવે મારા પોતાના નામે 6,60,000/-, 6,60,000 + 1,40,000 = Total 23 લાખ માંગે છે અને અસલમ-શબીરના 1,60,000/- માંગે છે. આ પૈસાની ઉઘરાણી માટે તે કમિટીવાળી મને ખૂબ જ માનસિક ત્રાસ આપે છે. આ કારણને લીધે હું ડિપ્રેશનની બીમારી લાગી ગઈ છે. એ મને અવારનવાર માનસિક ત્રાસ આપ્યો છે અને વધી પણ ગયો છે. તે ફોન પર ધાક-ધમકી તેમજ Atlas સોસાયટીમાં આવી મારા ઘરની નીચે ઉભા રહીને ગાળાગાળી તેમજ ગમે તેવા શબ્દો બોલે છે. કામકાજ કરી ઘરે પરત આવતી વખતે રસ્તામાં રોકીને પણ ગાળો ભાંડે છે અને મારી નાખવાની ધમકી પણ આપેલ હતી. અને એક દિવસ રાત્રે મને માર પણ માર્યો હતો, મારો છોકરો મને બચાવવા વચ્ચે પડ્યો તો તેને પણ જાનથી મારી નાખવાની ધમકી બધાયની સામે આપેલી હતી. મેં 122 પર કોલ કરીને પોલીસ બોલાવી હતી પણ એવી બધું ઓળખાણ હોઈ તે વખતે પોલીસ મારું નિવેદન લીધા વગર તેમજ કહેવાથી પાછી ચાલી ગઈ હતી. હું અને મારી ફેમિલી બહુ ડરી ગયા છીએ અને મારાથી પૈસા આવી શકે એવી પોઝિશન નથી. તે રોજે-રોજ ફોન કરી તેમજ સોસાયટીમાં આવીને પૈસાની માંગણી કરે છે તેમજ ધાક-ધમકી આપે છે. 24/2/24ના દિવસે તેણે મને મારવા બહારથી માણસો પણ બોલાવ્યા હતાં, જેની પાસે રિવોલ્વર તેમજ ઘાતક હથિયારો હતા. જુનેદ એવું કહેતો હતો કે, હું તારા ટુકડે ટુકડા કરી નાખીશ તો પણ કોઈ મારું કંઈ બગાડી નહીં શકે, કેમકે ઝુબેર ઓરાવાળા પોલીસ ડિપાર્ટમેન્ટમાં મોટા મોટા ઓફિસર સાથે ઓળખાણ છે તે બધાને ખબર છે મારી હવે મારી પાસે મરવા સિવાય કોઈ પણ વિકલ્પ બચતો નથી એનો ત્રાસ સહન થતો નથી મારું આપઘાત કરી રહ્યો છું. કેમકે હું જીવતો રહું તો એ મને ખોટા કેસોમાં ફસાવી તેમજ મારા છોકરાના ઘર B-106ની પણ માંગણી કરે છે. એ ઘર મારા છોકરાનું છે. મારી પાસે જે કંઈ પણ હતું એ મેં મારા પિતાનું અને સાસરિયુનું ઘર તેમજ મારી માતાના અને મારી પત્નીના તેમજ મારી છોકરીના દાગીના મેં ગિરવે મૂકીને જુનૈદ ઓરાવાળાને આખા પૈસા ચુકવેલ હતા. પણ હવે મારી પાસે કંઈ પણ બચ્યું નથી મેં મારા પૈસા મેળવીયા હતા. તેનાથી કઈક વધારે રકમ મેં લખવામાં મુકાવેલ છે અને મારા ભાઈની રકમ માટે 6 મહિનાને 15 દિવસ જેટલો વ્યાજ મેં મારી પાસેથી ચૂકવાયો. હવે મારી પાસે કંઈ પણ બચ્યું નથી સિવાય મને આપઘાત. મારી આ હાલત માટે ફક્તને ફક્ત જુનેદ હુકુમ ઓરાવાળા જ જવાબદાર છે.
ગાંધીનગરના સેક્ટર-26 સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા) ખાતે ગુજરાત સરકારના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ દ્વારા એક મહત્વપૂર્ણ રાજ્ય કક્ષાના કન્સલ્ટેટિવ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘ઇન્સ્ટિટ્યુશનલાઇઝિંગ કેપેસિટી બિલ્ડીંગ: ફ્રોમ ટ્રેનિંગ ટુ પરફોર્મન્સ-લિંક્ડ ગવર્નન્સ’ વિષય પર આધારિત આ કાર્યશાળાનો પ્રારંભ અગ્ર સચિવ હારીત શુક્લા, સ્પીપાના નાયબ મહાનિદેશક ચંદ્રેશ કોટક અને નાયબ સચિવ રાજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. પરંપરાગત તાલીમથી પરિણામલક્ષી વહીવટ તરફભારત સરકારના ‘મિશન કર્મયોગી’ અભિગમને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલ આ વર્કશોપનો મુખ્ય હેતુ સરકારી કર્મચારીઓની તાલીમ પદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફાર લાવવાનો છે. હવે તાલીમને માત્ર ઔપચારિકતાને બદલે કર્મચારીની ચોક્કસ ભૂમિકા અને જવાબદારીઓ મુજબ સક્ષમ બનાવવા પર ભાર મૂકવામાં આવશે. મે માસમાં મસૂરી ખાતે યોજાનાર રાષ્ટ્રીય સમિટની પૂર્વ તૈયારી રૂપે યોજાયેલા આ મંથનમાં વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો અને વર્ગ-1 તથા 2ના અધિકારીઓએ વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવા ચર્ચાઓ કરી હતી. AI અને ડિજિટલ લર્નિંગ પર વિશેષ ભારવર્કશોપ દરમિયાન કુલ 8 અલગ-અલગ વર્કિંગ ગ્રુપ્સ દ્વારા તાલીમ સંસ્થાઓનું સુદ્રઢીકરણ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ જેવા આધુનિક મુદ્દાઓ પર ગહન વિચારણા કરવામાં આવી હતી. ખાસ કરીને iGOT અને eHRMS જેવા ડિજિટલ પ્લેટફોર્મ્સને વહીવટ સાથે સાંકળવા તથા સ્પીપાને ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ તરીકે વિકસાવવા પર ભાર મુકાયો હતો. આ ઉપરાંત, છેવાડાના માનવી સાથે જોડાયેલા આશા વર્કર, આંગણવાડી કાર્યકર, તલાટી અને પોલીસ કોન્સ્ટેબલ જેવા ફ્રન્ટલાઇન કર્મચારીઓને તેમની માતૃભાષા ગુજરાતીમાં ડિજિટલ માધ્યમથી તાલીમ આપવાનું વિઝન રજૂ કરાયું હતું. વિકસિત ભારત 2047 માટે બ્લુપ્રિન્ટકાર્યક્રમના અંતે તૈયાર કરવામાં આવેલું ‘એક્શન મેટ્રિક્સ’ અને તજજ્ઞોના સૂચનોનો રિપોર્ટ કેપેસિટી બિલ્ડીંગ કમિશન (CBC) ને મોકલવામાં આવશે. આ સમગ્ર કવાયત ‘વિકસિત ભારત 2047’ ના લક્ષ્યાંકને હાંસલ કરવા અને ગુજરાતના વહીવટી માળખાને વધુ કાર્યદક્ષ તેમજ લોકભોગ્ય બનાવવા માટે એક મહત્વની બ્લુપ્રિન્ટ સાબિત થશે.
યસ! વી કેન એન્ડ ટી.બી.: લેડ બાય ભારત, પાવર્ડ બાય જનભાગીદારી ના બુલંદ નારા સાથે જૂનાગઢમાં વિશ્વ ક્ષયરોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી. જૂનાગઢ મહાનગરપાલિકા અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં ટીબી મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા વિદ્યાર્થીઓ અને વહીવટી તંત્રએ એકસૂરે હાકલ કરી હતી. 24 માર્ચ 2026ના રોજ કૃષિ મહાવિદ્યાલયના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ટીબીના જીવાણુની શોધના 144માં વર્ષ નિમિત્તે વૈજ્ઞાનિક રોબર્ટ કોચના પ્રદાનને પણ યાદ કરવામાં આવ્યું હતું. નિષ્ણાતો દ્વારા ટીબી અંગે ગહન માર્ગદર્શનકાર્યક્રમના પ્રારંભમાં આર.એમ. સોલંકીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સિટી ટીબી ઓફિસર ડૉ. પી.એસ. પ્રકાશે ક્ષયરોગના ઇતિહાસ, લક્ષણો અને આધુનિક તપાસ પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે વિશ્વભરમાં દર વર્ષે આશરે 10.6 મિલિયન લોકો આ રોગનો શિકાર બને છે. ટીબીના 'લેટન્ટ' અને 'એક્ટિવ' પ્રકારો સમજાવતા તેમણે TrueNat જેવી ટેકનોલોજી અને DOTS સારવાર પદ્ધતિના મહત્વ પર ભાર મૂક્યો હતો. જનભાગીદારીથી જ શક્ય છે ટીબીનું નિર્મૂલનમુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત મ્યુનિસિપલ કમિશનર તેજસ ડી. પરમારે વિદ્યાર્થીઓને આ અભિયાનમાં સક્રિયપણે જોડાવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે સર્વેક્ષણ અને જાગૃતિ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની ભાગીદારી સિટી ટીબી સેન્ટર માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સરકાર દ્વારા ચાલતા 'નિક્ષય મિત્ર' અભિયાન હેઠળ મળતી નિઃશુલ્ક સારવાર અને 6 થી 9 મહિનાની સારવાર પ્રક્રિયા અંગે પણ તેમણે મહત્વની વિગતો આપી હતી. સ્વચ્છતા અને જવાબદારીભર્યું વર્તનઅધ્યક્ષ સ્થાનેથી કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાએ જણાવ્યું કે જાહેર સ્થળોએ થૂંકવા જેવી આદતો સંક્રમણ ફેલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સ્વચ્છતા અને જવાબદારીભર્યા વર્તન દ્વારા જ આપણે આ રોગને રોકી શકીશું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર હાજરી આપી ટીબી જાગૃતિનો સંકલ્પ કર્યો હતો. નોંધનીય છે કે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ આગામી 100 દિવસ સુધી વિવિધ જાગૃતિ કાર્યક્રમો ચાલુ રહેશે. આ પ્રસંગે પી.એસ. પ્રકાશ, આર.એમ. સોલંકી, પી.ડી. કુમાવત અને એલ.સી. વેકરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ પી.ડી. કુમાવત દ્વારા કરવામાં આવી હતી.
સુરતના નાના વરાછા વિસ્તારમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે સમયસર મધ્યસ્થી કરીને એક હસતો-ખેલતો પરિવાર વિખેરાતા બચાવ્યો છે. 11 વર્ષથી સુખી લગ્નજીવન જીવતા આ દંપતીના સંબંધોમાં છેલ્લા 2 વર્ષથી તિરાડ પડી હતી. પતિના અન્ય સ્ત્રી સાથેના ગેરકાયદેસર સંબંધોના કારણે ઘરમાં રોજબરોજ કંકાસ થતો હતો, જેનાથી કંટાળીને પરિણીતાએ હેલ્પલાઇનનો સહારો લીધો હતો. કાઉન્સિલિંગથી બદલાયું પતિનું હૃદય ઘટનાની જાણ થતા જ સુરત-ઉમરા 181 અભયમની ટીમ તત્કાલ પરિણીતાના ઘરે પહોંચી હતી. ટીમે પતિને એક પતિ અને પિતા તરીકેની તેની સામાજિક અને કાયદાકીય જવાબદારીઓનું ભાન કરાવ્યું હતું. અસરકારક કાઉન્સિલિંગના અંતે પતિને પોતાની ભૂલ સમજાઈ હતી. તેણે અન્ય સ્ત્રી સાથેના તમામ સંબંધો તોડી નાખવાની અને ભવિષ્યમાં પત્નીને હેરાન ન કરવાની ખાતરી આપી હતી. બાળકોના ભવિષ્ય માટે પત્નીનો ઉમદા નિર્ણય પતિએ પત્નીની લેખિતમાં માફી માંગી હતી. બીજી તરફ, પત્નીએ પણ પોતાના 2 સંતાનોના ભવિષ્ય અને 11 વર્ષના લાંબા સાથને માન આપીને પતિને સુધરવાની એક તક આપવાનું સ્વીકાર્યું હતું. 181 અભયમ ટીમના હસ્તક્ષેપથી એક તૂટતું લગ્નજીવન ફરી પાટે ચડ્યું છે, જે સમાજ માટે એક હકારાત્મક ઉદાહરણ પૂરું પાડે છે.
મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક સામ્રાજ્યમાં અત્યારે ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવ નિર્ધારણમાં રાખવામાં આવેલી વિષમતાને કારણે ઉદ્યોગકારોમાં ભારે આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. સિરામિક એકમોની ગંભીર માંગ છે કે, જો સરકાર આ મામલે સક્રિય હસ્તક્ષેપ કરીને સમગ્ર ઉદ્યોગ માટે ‘એક સમાન ભાવ’ની નીતિ અમલી બનાવે, તો જ મંદીના મરણે પડેલા અને બંધ પડેલા કારખાનાઓમાં ફરી ચેતનાનો સંચાર થઈ શકે તેમ છે. હજારો ઉદ્યોગકારો નેચરલ ગેસના શરણે જવા મજબૂર વૈશ્વિક સ્તરે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની પ્રત્યક્ષ આંચ મોરબીના આંગણે વર્તાઈ રહી છે, જેના કારણે પ્રોપેન ગેસનો જીવનરેખા સમાન પુરવઠો સાવ ઠપ થઈ ગયો છે. પ્રોપેન ગેસ પર નિર્ભર રહેતા અનેક સિરામિક ટાઇલ્સના કારખાનાઓ છેલ્લા લગભગ 1 મહિનાથી બંધ થઈ ગયા છે. ઇંધણના આ ગંભીર સંકટને પગલે હવે હજારો ઉદ્યોગકારો અનિવાર્યપણે નેચરલ ગેસના શરણે જવા મજબૂર બન્યા છે. કારખાનેદારોમાં ઘેરી નિરાશા ગુજરાત ગેસ કંપનીએ એપ્રિલ માસ માટે ઈમેલ મારફતે જે ભાવપત્રક જાહેર કર્યું છે, તેણે ઉદ્યોગકારોની રહીસહી આશા પર પણ પાણી ફેરવી દીધું છે. કંપની દ્વારા જૂના કાયમી ગ્રાહકો અને મજબૂરીવશ નવા જોડાયેલા ગ્રાહકો વચ્ચે ભાવમાં જે મોટું અંતર રાખવામાં આવ્યું છે, તેનાથી ઉદ્યોગ ફરી બેઠો થવાની આશા રાખતા કારખાનેદારોમાં ઘેરી નિરાશા વ્યાપી ગઈ છે. કાયમી ગ્રાહકો માટે સ્લેબ સિસ્ટમ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ આ સ્થિતિ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, એપ્રિલમાં જાહેર થયેલા દરો મુજબ છેલ્લા 6 મહિનાથી નેચરલ ગેસ વાપરતા કાયમી ગ્રાહકો માટે સ્લેબ સિસ્ટમ રખાઈ છે. જેમાં માસિક વપરાશના 50% સુધી 52 રૂપિયા, 50% થી 80% સુધી 75 રૂપિયા અને 80% થી 100% સુધી 85 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટરનો ભાવ છે, જેના કારણે કાયમી ગ્રાહકોને સરેરાશ 65 રૂપિયાના ભાવે ગેસ ઉપલબ્ધ થાય છે. નવા ગ્રાહકો માટે આકરો ભાવ ફટકારવામાં આવ્યો તેમણે વધુમાં વ્યથા ઠાલવતા ઉમેર્યું કે, પ્રોપેન ગેસના અભાવે જે નવા ગ્રાહકો નેચરલ ગેસ તરફ વળ્યા છે, તેમને કંપની દ્વારા સીધો 88 થી 90 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટરનો આકરો ભાવ ફટકારવામાં આવ્યો છે. એક જ ઔદ્યોગિક વિસ્તારમાં, એક સરખી પ્રોડક્ટ બનાવવા માટે ગેસ કંપનીની આ બેધારી નીતિએ ઉદ્યોગકારો માટે સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ બનાવી દીધું છે. મધ્યસ્થી કરવા માગ ઊઠી મનોજભાઈ એરવાડીયાએ સરકારને સત્વરે આ વિવાદમાં મધ્યસ્થી કરવા વિનંતી કરી છે કે મોરબીના પ્રત્યેક કારખાનેદારને સમાન દરે નેચરલ ગેસ પૂરો પાડવામાં આવે. જો સરકાર લોકહિતમાં 'નહીં નફો નહીં નુકસાન'ના ઉમદા ધોરણે ગેસનો પુરવઠો સુનિશ્ચિત કરે, તો જ એક મહિનાથી મૌન થઈ ગયેલા સિરામિક એકમોના પૈડાં ફરી ગતિમાન થઈ શકશે.
વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં આવેલ અર્થ આઇકોન-2 ખાતે તાજેતરમાં એક ભવ્ય અને ભક્તિમય સુંદરકાંડ પાઠનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર ઉમટી પડતા સમગ્ર વિસ્તાર આધ્યાત્મિકતા અને ભક્તિભાવના સૂરથી ગુંજી ઉઠ્યો હતો. કાર્યક્રમના આયોજનથી સ્થાનિક રહીશોમાં અનેરી ખુશી જોવા મળી હતી. સ્થાનિક રહીશો અને સોસાયટીનો સહકાર આ ધાર્મિક ઉત્સવમાં સંકે સોસાયટીના સભ્યો તેમજ આસપાસના સ્થાનિક રહેવાસીઓએ ખૂબ જ ઉમંગભેર ભાગ લીધો હતો. સુંદરકાંડના પાઠ દરમિયાન શ્રદ્ધાળુઓ ભક્તિમાં લીન થઈ ગયા હતા અને સમૂહ પાઠનો ધાર્મિક લાભ લીધો હતો. ભજન અને મંત્રોચ્ચારના કારણે વાતાવરણ અત્યંત પવિત્ર અને સકારાત્મક બની ગયું હતું. આયોજકો અને મહાનુભાવોની ઉપસ્થિતિ સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન અશોકભાઈ જેસીધાણી, પ્રમુખ વિશાલભાઈ અને હિતેશભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજકોના સચોટ સંકલન અને રાત-દિવસની મહેનતને પરિણામે આ કાર્યક્રમ નિર્વિઘ્ને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે પૂર્વ કાઉન્સિલર હેમિશાબેન ઠક્કર તથા સામાજિક અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાની ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. સમાજમાં એકતાનો સંદેશ આ પ્રકારના ધાર્મિક આયોજનો માત્ર ભક્તિ પૂરતા મર્યાદિત ન રહેતા, સમાજમાં એકતા, સંસ્કાર અને સકારાત્મક ઊર્જા ફેલાવવાનું પણ ઉત્તમ કાર્ય કરે છે. અર્થ આઇકોન-2 ખાતે થયેલું આ આયોજન સામાજિક સમરસતા વધારવાની દિશામાં એક સરાહનીય પ્રયત્ન સાબિત થયું છે.
બોટાદમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા નિર્મિત શ્રી સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે આ શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે આચાર્ય સ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું કે, નવું શ્રી સ્વામિનારાયણ મંદિર માનવજીવનને સંસ્કારથી શિક્ષિત અને દીક્ષિત કરવાનું પ્રેરણા કેન્દ્ર બનશે. તેમાંથી સત્સંગ, સંસ્કાર અને શિક્ષણ પ્રાપ્ત થશે. તેમણે ઉમેર્યું કે, આ મંદિર દ્વારા માનવી વ્યસનો અને દૂષણોથી હંમેશા દૂર રહી શકશે. આ શિલાન્યાસ સમારોહમાં વરિષ્ઠ સંતમંડળ અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
ગઢડા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે, ગઢડા યુવા ભાજપ મોરચા દ્વારા આજે શહેરમાં પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું. યુવા મોરચાના પ્રમુખ અને કાર્યકરોએ માણેક ચોક, નવી કાપડ બજાર, સોની બજાર અને બોટાદના ઝાંપા સહિતના વિવિધ વિસ્તારોમાં દુકાનદારો અને નાગરિકોને પેમ્પલેટ આપ્યા હતા. આ પેમ્પલેટ દ્વારા આવતીકાલના કાર્યક્રમો અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યકરોએ નાગરિકોને આ કાર્યક્રમોમાં જોડાઈને ઉજવણીને સફળ બનાવવા અપીલ કરી હતી. ગઢડા યુવા ભાજપ પ્રમુખ કિશન ચૌહાણે આ અંગે માહિતી આપી હતી. ભાજપના સ્થાપના દિવસને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

26 C