SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

આજથી રાજકીય પક્ષો પ્રચારમાં એડીચોટીનું જોર લગાવશે:ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે મારા-મારી અને બોલાચાલીનો હાઇવોલ્ટેજ ડ્રામા થયો હતો

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલિકા અને પંચાયતની આશરે 10 હજાર બેઠકો પર આજે(15 એપ્રિલ) ફોર્મ ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. હવે પ્રચારનો ધમધમાટ શરૂ થશે. જો કે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજ્યભરમાં જબરદસ્ત રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પાછું ખેંચવા આવતા કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આક્રોશિત કાર્યકરોએ ઉમેદવારની કારના કાચ પણ ફોડી નાખ્યા હતા. ડભોઈ તાલુકા પંચાયતની ચૂંટણીના જંગમાં આજે રણમેદાન જેવો માહોલ સર્જાયો હતો. ફોર્મ ખેંચવાની પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસ તાલુકા પ્રમુખ સુધીર બારોટ અને ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા. આમ વડોદરા શહેર-જિલ્લામાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટ સહિતના નેતાઓ અને કાર્યકરોએ કોંગ્રેસને જીવતી રાખવા પોતાનો જીવ રેડી દીધો હતો. રાજ્યની પાલિકા-પંચાયતની ચૂંટણીમાં 15મી એપ્રિલે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતા ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. અમદાવાદમાં કોંગ્રેસ એક ઉમેદવારે ફોર્મ જ ન ભરતા અને ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. જેના કારણે ભાજપની 2 બેઠકો બિનહરીફ થઈ છે. હવે અમદાવાદ મનપામાં ભાજપમાં 190 ઉમેદવારો સામે કોંગ્રેસના 187 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જ્યારે સુરતમાં કોંગ્રેસના 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. પરંતુ, અહીં ભાજપની એકેય બેઠક બિનહરીફ થઈ નથી. સુરત મહાનગરપાલિકામાં ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળશે.અહીં ભાજપના 120, કોંગ્રેસના 117 અને આપના 111 અને અન્ય ઉમેદવારો સહિત 483 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જ્યારે વડોદરા મહાનગરપાલિકામાં પણ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભારે ખેંચતાણ જોવા મળી. વડોદરાની 76 બેઠક માટે ભાજપ,કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, AIMIM અને અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. મહાનગરપાલિકાની 76 બેઠક ઉપર બે બેઠક બિનહરીફ થઈ છે જેમાં વોર્ડ 2માં કોંગ્રેસના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિએ ઉમેદવારીપત્ર પરત ખેંચતા ભાજપના ઉમેદવાર ધ્રુવિતા બ્રહ્મભટ્ટ બિનહરીફ થયા છે તો વોર્ડ 11માં કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉપેન્દ્ર પ્રજાપતિ બિનહરીફ થયા છે. 76 બેઠકમાંથી 2 બેઠક બિનહરીફ થતા હવે 74 બેઠક ઉપર ચૂંટણી જંગ ખેલાશે. હવે 74 બેઠક ઉપર કુલ 258 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 18 વોર્ડની 72 બેઠક સામે 236 ઉમેદવારો વચ્ચે ચૂંટણી મેદાનમાં છે. આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે આમ આદમી પાર્ટીના 3 સહિત કુલ 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના 72, કોંગ્રેસના 72, આમ આદમી પાર્ટીના 69, બહુજન સમાજ પાર્ટીના 9, શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના 1, ભારત આદિવાસી પાર્ટીનો 1, અન્ય પક્ષનો 1 અને અપક્ષના 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 7:50 am

હુડામાં સમાવિષ્ટ 11 ગામના રહીશોએ‎ બાંયો ચઢાવી:હુડા રદ કરવાની કાર્યવાહીમાં જે ઉમેદવાર સોગંદપૂર્વક ખાતરી આપશે તેને જ સમર્થન

હિંમતનગર આસપાસના હુડામાં સમાવિષ્ટ 11 ગામના રહીશોએ બાંયો ચઢાવી છે અને હુડા રદ કરવાની કાર્યવાહીમાં જે ઉમેદવાર સોગંદપૂર્વક ખાતરી આપશે તેને જ સમર્થન આપવાનું જાહેર કરી સંકલ્પ પત્ર ભરાવવાનો નિર્ણય કરાતા ગરમાવો આવી ગયો છે. ​સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણી પ્રક્રિયા આખરી ચરણમાં પહોંચી ગઈ છે. આજે ફોર્મ પરત ખેંચવાની અવધિ પૂર્ણ થયા બાદ પ્રચાર કાર્ય પણ જોરશોરથી શરૂ થનાર છે ત્યારે હિંમતનગર તાલુકા પંચાયતની 8 બેઠક, જિલ્લા પંચાયતની હિંમતનગર તાલુકામાં આવતી 7 બેઠક અને હિંમતનગર પાલિકાના ત્રણેક વોર્ડમાં હુડા આંદોલનની અસર જોવા મળી રહી છે અને વિવિધ સોશ્યલ મીડિયા ગ્રુપમાં પ્રતિક્રિયાઓ આવી રહી છે. હુડા સંકલન સમિતિના ઉત્સવ પટેલે જણાવ્યું કે સંકલન સમિતિની બેઠક કરાઈ હતી જેમાં ચર્ચાને અંતે એક સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવ્યું છે. પ્રચાર માટે આવતા તમામ ઉમેદવારોએ અમારી હુડા-સત્તામંડળને સંપૂર્ણપણે રદ કરવાની માંગણી સાથે સંમત હોય તો સોગંદ પૂર્વક ખાતરી આપીને સંકલ્પપત્ર ભરવાનું રહેશે અને ચૂંટાયા બાદ સરકાર દ્વારા ખેડૂતો વિરોધી કોઈ નિર્ણય લેવાય તો રાજીનામુ આપવાની બાંહેધરી આપી ખેડૂતોની પડખે રહેવાનું વચન આપવાનું રહેશે. અમારા સંકલ્પ પત્રની તમામ વિગતો સાથે જે સહમત હશે અને સંકલ્પપત્ર, બાંહેધરી આપશે તેને અમારા 11 ગામનું સમર્થન મળશે તેવું ઠરાવાયું છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 7:26 am

ઉમેદવારોની સંપત્તિ:હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નં. 7ના ઉમેદવાર પાસે સૌથી વધુ 2 કરોડના ઘરેણાં

​હિંમતનગર નગરપાલિકાના 11 વોર્ડમાં 44 બેઠકો માટે ભાજપ-કોંગ્રેસના 83 ઉમેદવારોએ રજૂ કરેલ એફિડેવિટોનું વિશ્લેષણ કરતા ભાજપના ઉમેદવારો સંપત્તિમાં આગળ છે. તો કોંગ્રેસના એક ઉમેદવાર અભ્યાસમાં એમબીબીએસ-પીજી સાથે સૌથી આગળ હોવાનું બહાર આવ્યું છે. જોકે, કોંગ્રેસમાં એક અભણ સહિત 13 ઉમેદવારો ધો-10 કે તેથી ઓછું ભણેલા છે તો ભાજપમાં પણ ધો-10 કે તેથી ઓછું શિક્ષણ ધરાવતા 08 ઉમેદવાર છે.સૌથી વધુ ઝવેરાત 2,04,50,009 વૉર્ડ નંબર 7 ના ભાજપના ઉમેદવાર અમૃતભાઈ પુરોહિતનું છે. હિંમતનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાં 13 અને ભાજપના 08 ઉમેદવારો ​ધો-10થી ઓછું ભણેલા છે તોએક ઉમેદવાર અભણ છે. ભાજપના 23 અને કોંગ્રેસના 10 ઉમેદવારોએ ​ધો-12થી વધુ અભ્યાસ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 7:26 am

ઠગાઈ:ધાનેરાના ટ્રક માલિક-ચાલકે ટ્રક ચોરીનું ખોટું બહાનું બનાવી 300 બોરી રાયડો વેચી માર્યો

ધાનેરા તાલુકાના નેનાવાથી રાજસ્થાનના દેવડા ગામના ખેડૂતનો 300 બોરી રાયડો ભરેલો ટ્રક ચંડીસર ઓઇલ મિલ તરફ રવાના થયો હતો. જોકે ટ્રક માલિક-ડ્રાઇવરે ટ્રક ચોરી થઈ હોવાનું ખોટું બહાનું બનાવી માલ બારોબાર વેચી માર્યો હતો. ખેડૂતને 15 દિવસ સુધી વિશ્વાસમાં રાખ્યા બાદ સમગ્ર મામલો બહાર આવતા ગઢ પોલીસ મથકે ટ્રક માલિક-ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. રાજસ્થાનના ઝાલોર જિલ્લાના દેવડા ગામના ખેડૂત મદનલાલ અણદારામ ચૌધરીએ પોતાના ખેતરમાં થયેલ રૂ.18 લાખના રાયડાની 300 બોરીઓ વેચવા માટે નેનાવા માર્કેટમાં લાવ્યા હતા. પરંતુ નેનાવા માર્કેટમાં પૂરતા ભાવ ન મળતા દલાલ મારફતે આ માલ ચંડીસરની વૈષ્ણોદેવી ઓઇલ મિલમાં મોકલવાનું નક્કી થયું હતું. આ માટે ધાનેરાના ટ્રક માલિક ભાવેશકુમાર બિહારીલાલ મહેશ્વરી અને તેના ડ્રાઇવર સોનુ ભોલા પટેલની ટ્રક નંબર આરજે-19-જીબી-7405 ને ભાડે કરવામાં આવી હતી. 26 માર્ચ 2026 ના રોજ રાયડો ભરીને નીકળેલી ટ્રક ફ્કત 73 કિલોમીટર દૂર આવેલ ચંડીસરમાં મિલ પર બીજા દિવસે પણ પહોંચી ન હતી. ટ્રક માલિક ભાવેશકુમારે અગાઉ એવું બહાનું કાઢ્યું હતું કે, મિલમાં લાઇન હોવાથી વાર લાગશે, પરંતુ બાદમાં ડ્રાઇવર ફોન ઉપાડતો નથી અને ટ્રક કોઈ ચોરી કરી ગયું છે તેવી ખોટી હકીકત જણાવવામાં આવી હતી. ખેડૂતે જ્યારે પોલીસ કાર્યવાહીની વાત કરી ત્યારે આરોપીઓએ રાયડો અથવા તેની કિંમત પરત આપી દેવાની ખાતરી આપી વિશ્વાસમાં લીધા હતા. પંદર દિવસ વીતવા છતાં કોઈ રકમ કે માલ પરત ન મળતા, છેતરાયા હોવાનો અહેસાસ થતા ખેડૂતે ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ શખ્સો સામે ફરિયાદ ભાવેશ બિહારીલાલ મહેશ્વરી ( ધાનેરા) સોનુ ભોલા રોશન પટેલ (ઉત્તરપ્રદેશ)

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 7:21 am

ગંભીર અકસ્માત સર્જાયો:કેબિનમાં ફસાયેલા ચાલકને જહેમત બાદ બહાર કાઢ્યો

નેશનલ હાઈવે 48 પર તાજપુર કુઈ અને પ્રાંતિજ વચ્ચે રખડતા આખલાને બચાવવાના પ્રયાસમાં એક આઈશર ચાલકે કાબૂ ગુમાવતા માર્ગ પરથી પસાર થતી ઊંટલારીને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર બાદ આઈશર ગાડી વીજ પોલ સાથે અથડાઈને એક રસના કેબિન પાસે ઊભી રહી ગઈ હતી. આ હૃદયદ્રાવક ઘટનામાં ગંભીર ઇજાઓને કારણે ઊંટનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ઊંટલારીના માલિક અજયભાઈ વસાભાઈ રાવળ અને આઈશર ચાલક બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક લોકોએ કેબિનમાં ફસાયેલા ચાલકને ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો. સીતવાડાના સરપંચ મિલકતસિંહ રાઠોડે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી ભોગ બનનાર પરિવારને સહાય મળે તેવી માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 7:17 am

વોર્ડ નંબર - 1નું સમીકરણ:પાલનપુર પાલિકાના વોર્ડ-1માં ભાજપના 3 અને કોંગ્રેસના એક ઉમેદવાર વચ્ચે મુકાબલો

પાલનપુર શહેરમાં ગુજરાતની પ્રથમ એવી ઘટના નોંધાઈ છે. જેમાં કોંગ્રેસની મહિલા ઉમેદવાર સામે ભાજપના ત્રણ ઉમેદવારો ચૂંટણી લડશે. અહીં વોર્ડ 1માંથી કોંગ્રેસના અશોક જોષી, આરતી ઠાકોર અને આશિષ પઢિયારે ફોર્મ પાછાં ખેંચ્યાં હતા. પરંતુ લતાબેન સોલંકી, જેઓ સામાન્ય સ્ત્રી સીટ પરથી ઊભા હતા, તેમણે ફોર્મ પાછું ખેંચ્યું નહોતું. આથી સવારે ભાજપના ત્રણ ઉમેદવારો બિનહરીફ થયા હોવાનું જાહેર થતાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જોકે સામાન્ય સીટ પર ઊભેલા દશરથસિંહ સોલંકી, અંકુર જોષી અને સામાન્ય સ્ત્રી સીટ પર ઊભેલી મીતાબેન સોની – ત્રણેય સામાન્ય સીટ પર હોવાને કારણે હવે અહીં ચૂંટણીની સ્થિતિ સર્જાઈ છે. એકમાત્ર કોંગ્રેસની મહિલા ઉમેદવાર સહિત અહીં સૌથી ઓછાં મત મેળવનાર સામાન્ય ઉમેદવાર હારશે, જ્યારે બાકીના ત્રણ ઉમેદવારો વિજેતા જાહેર કરાશે. પાલનપુર નગરપાલિકામાં ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે પ્રાંત કચેરી પરિસરમાં સવારથી જ હાઈ વોલ્ટેજ ડ્રામાની સ્થિતિ જોવા મળી હતી. સવારે 11 વાગ્યાથી કોંગ્રેસના નેતાઓ ગ્રાઉન્ડ ફ્લોર પર પગથિયાં પાસે ગોઠવાઈ ગયા હતા, જેથી કોંગ્રેસનો કોઈ ઉમેદવાર ફોર્મ પાછું ખેંચવા અંદર જઈ ન શકે. આવી પરિસ્થિતિ વચ્ચે પણ ભાજપના નેતાઓ કોઈક રીતે પ્રથમ માળે આવેલી પ્રાંત કચેરીમાં પહોંચી વોર્ડ નંબર 1માંથી ત્રણ ઉમેદવારોના ફોર્મ પાછાં ખેંચાવી લીધાં હતા. જેના કારણે ભાજપના નેતાઓએ માન્યું કે અહીં ત્રણ બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. આ અંગે ભાજપ કાર્યાલય દ્વારા અધિકૃત જાહેરાત પણ કરાઈ દેવાઈ હતી. ઉપરાંત બિનહરીફ જાહેર થયેલા ઉમેદવારો દશરથસિંહ સોલંકી અને અંકુરભાઈ જોષી દ્વારા આભાર દર્શન અને અભિવાદન કાર્યક્રમ પણ યોજાયો હતો. જોકે, ચૂંટણી પંચે સાંજે સ્પષ્ટતા કરી કે કોંગ્રેસની પછાત વર્ગની મહિલાએ ફોર્મ પાછું ખેંચ્યું હોવાથી તેની સામે ભાજપની પછાત વર્ગની મહિલા ઉમેદવાર બિનહરીફ થઈ છે. પરંતુ લતાબેન સોલંકી સામાન્ય કેટેગરીમાં હોવાથી તેમની સામેના ઉમેદવારોને ચૂંટણી લડવી જ પડશે. આ પરિસ્થિતિ ઊભી થતા ચૂંટણી વિભાગના અધિકારીઓએ માત્ર જાગૃતિ ચૌધરીને જ બિનહરીફ જાહેર કર્યા હતા. આમ પાલનપુર શહેરમાં વોર્ડ નં. 1માં 1, વોર્ડ નં. 3માં 1 અને વોર્ડ નં. 10માં 2 મળી કુલ 4 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. પાલિકાના વોર્ડ નંબર 1ની ચૂંટણીની વર્તમાન સ્થિતિને સાદી અને સરળ ભાષામાં સમજો સવારે 3 બેઠકો બિનહરીફ માનીને ભાજપે વિજયી ઉત્સવ કેમ મનાવ્યો? સામાન્ય રીતે જ્યારે વિરોધ પક્ષના ઉમેદવારો ફોર્મ ખેંચે ત્યારે સામેવાળા ઉમેદવાર જીતી ગયા ગણાય. વોર્ડ-1માં કોંગ્રેસના 3 ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા, એટલે ભાજપના નેતાઓને એમ લાગ્યું કે હવે તેમની સામે કોઈ જ નથી, તેથી 3 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. પરંતુ તેઓ એ ભૂલી ગયા કે કોંગ્રેસના ચોથા ઉમેદવાર (લતાબેન) મેદાનમાં હજુ પણ ઉભા છે. એક જ મહિલા ઉમેદવાર બાકી હોય તો બાકીના 3 કેમ બિનહરીફ ન થયા? ચૂંટણીના નિયમ મુજબ, જો કોઈ વોર્ડમાં કુલ 4 બેઠકો હોય અને સામે પક્ષે માત્ર 1 જ ઉમેદવાર બાકી હોય, તો તે એક ઉમેદવાર ગમે તે બેઠક પર લડી શકે છે. અહી કોંગ્રેસના લતાબેન સામાન્ય (General) બેઠક પર છે. જ્યાં સુધી તેઓ મેદાનમાં છે, ત્યાં સુધી ભાજપના ત્રણેય સામાન્ય બેઠકના ઉમેદવારો (દશરથસિંહ, અંકુરભાઈ અને મીતાબેન) સામે હરીફાઈ ગણાય. એટલે કે, આ ત્રણેયમાંથી કોઈ એકની સામે લતાબેન ચૂંટણી લડી રહ્યા છે તેવું માનવામાં આવે છે. તો પછી માત્ર જાગૃતિબેન ચૌધરી જ કેવી રીતે બિનહરીફ જાહેર થયા?કારણ કે જાગૃતિબેન પછાત વર્ગ (OBC)ની અનામત બેઠક પર હતા. તેમની સામે કોંગ્રેસના જે ઉમેદવાર આરતીબેન ઠાકોર હતા, તેમણે ફોર્મ ખેંચી લીધું. હવે પછાત વર્ગની બેઠક પર જાગૃતિબેન સિવાય બીજું કોઈ જ ઉમેદવાર બાકી રહ્યું નથી, તેથી નિયમ મુજબ માત્ર તેમને જ વિજેતા (બિનહરીફ) જાહેર કરી શકાય. હવે વોર્ડ-1 માં ચૂંટણીનું ચિત્ર શું રહેશે?હવે સ્થિતિ એવી છે કે ભાજપના 3 ઉમેદવારો (2 પુરુષ અને 1 મહિલા) મેદાનમાં છે અને તેમની સામે કોંગ્રેસના માત્ર મહિલા ઉમેદવાર (લતાબેન) છે. મતદારોએ 4 માંથી 3 ઉમેદવારોને પસંદ કરવાના રહેશે. જે ઉમેદવારને સૌથી ઓછા મત મળશે તે હારી જશે. એટલે કે, ભાજપના 3 ઉમેદવારો વચ્ચે જંગ નથી, પણ આ ત્રણેયમાંથી કોઈ પણ એક હારી શકે છે જો કોંગ્રેસના મહિલા ઉમેદવારને તેમના કરતા વધુ મત મળે તો. આ આખી ઘટનામાં ક્યાં ભૂલ થઈ? અહીં કેટેગરી સમજવામાં ભૂલ થઈ હતી. ભાજપના નેતાઓને લાગ્યું કે ત્રણેય પુરુષો સામેના ઉમેદવારો હટી ગયા છે એટલે તેઓ જીતી ગયા. પણ ટેકનિકલ રીતે, જ્યાં સુધી વોર્ડની કુલ બેઠકો જેટલા જ ઉમેદવારો મેદાનમાં ન રહે, ત્યાં સુધી બિનહરીફ જાહેર ન થઈ શકાય. બનાસકાંઠા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચૂંટણી ફેસલો આ રીતે થશે? ભાજપના નેતાઓ કોંગ્રેસની આરતી ઠાકોરની ઓળખ છુપાવીને પ્રાંત કચેરીમાં લઈ ગયા હતાપ્રાંત કચેરીએ બપોરે પાલિકા વોર્ડ નં. 1ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર આરતી ઠાકોરે ફોર્મ પરત ખેંચ્યું હતુ. જ્યાં પાલિકાના પૂર્વ પ્રમુખ હસમુખ પઢિયાર, પૂર્વ ઉપપ્રમુખ નાગજી દેસાઇ, સંજય જાની સહિતે ઉમેદવાર આરતીબેન ઠાકોરને કોર્ડન કરી કચેરીમાં લાવ્યા હતા. ફોર્મ પરત ખેંચ્યા પછી તેણીનો હાથ પકડી કારમાં બેસાડી લઇ જવાઇ હતી. આ હાઇવોલ્ટેજ ડ્રામાથી ઉત્તેજના પ્રસરી ગઇ હતી.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 7:13 am

કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદન:કોન્ટ્રાક્ટર એસો.એ પેનલ્ટી વગર સમયમર્યાદા વધારવા અને મુલાકાત માટે સમય માગ્યો

વૈશ્વિક સ્તરે સર્જાયેલા ખાડી યુદ્ધના કારણે નિર્માણ સામગ્રીના ભાવમાં થયેલા તોતિંગ વધારાના કારણે ગુજરાત સહિત પાટણના વિકાસ કાર્યો અટક્યા છે. ખાસ કરીને બીટુમીન, સ્ટીલ, સિમેન્ટ અને પેટ્રોલિયમ પેદાશોમાં થયેલા તોતિંગ ભાવવધારા સામે પાટણ જિલ્લા કોન્ટ્રાક્ટર્સ એસોસિએશને સરકાર સામે રજૂઆત કરી છે. પાટણ જિલ્લા ​ કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા પાટણ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું.કે ટેન્ડર ભરતી વખતના એસ.ઓ.આર. અને વર્તમાન બજાર ભાવ વચ્ચે મોટું અંતર સર્જાતા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા આર્થિક રીતે અશક્ય બન્યા છે. જો સરકાર દ્વારા તાત્કાલિક ભાવ તફાવત નહીં ચૂકવાય, તો રાજ્યના રોડ, બ્રિજ અને બિલ્ડિંગના કામો અધવચ્ચે અટકી જશે. આ સ્થિતિ લાખો શ્રમિકોની રોજગારી પર પણ જોખમ ઊભું કરી શકે છે. કોન્ટ્રાક્ટરોએ પેનલ્ટી વગર સમયમર્યાદા વધારવા અને મુલાકાત માટે સમય માંગ્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 7:08 am

ચૂંટણીનું સમીકરણ:પાટણ પાલિકાની 44 બેઠક માટે 114 ઉમેદવારો‎મેદાનમાં, ગત ચૂંટણી કરતાં 71 ઉમેદવારો ઘટ્યા‎

પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે જેમાં માત્ર એક જ વોર્ડ નંબર એકના અપક્ષ ઉમેદવાર ફોર્મ પરત ખેંચતા હવે 44 બેઠક માટે 114 ઉમેદવાર મેદાનમાં છે. ત્યારે વર્ષ 2021માં પાલિકાની ચૂંટણીમાં કુલ 182 ઉમેદવારો મેદાનમાં હતા જેની સરખામણીમાં 71 ઉમેદવારોનો ઘટાડો છે. સૌથી વધુ 14 ઉમેદવારોનો ઘટાડો વોર્ડ નં. 2માં જોવા મળ્યો છે. જ્યારે વોર્ડ નં. 11માં પણ ગત વખતે 24 ઉમેદવારો સામે આ વખતે માત્ર 12 ઉમેદવારો જ મેદાનમાં છે. તેમજ આ વખતે માત્ર 9 જ ઉમેદવારો અપક્ષ લડી રહ્યા છે. જેમાં અપક્ષની સંખ્યામાં પણ 42 નો ઘટાડો થયો છે. ઉમેદવારાના ઘટાડાના કારણે મતોનું ધ્રુવીકરણ અટકતા ઉમેદવારો વચ્ચે ભારે ભારે રસપ્રદ અને રસાકસી ભર્યો જંગ રહેશે. પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે વોર્ડ નંબર એકમાંથી અપક્ષના વિજયસિંહ બાબુજી ઠાકોર ફોર્મ પરત ખેંચ્યું છે. હવે ચૂંટણી જંગમાં ખાસ કરીને પાટીદાર, ઠાકોર અને પછાત વર્ગના મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા જે રીતે ટિકિટ ફાળવણી કરવામાં આવી છે તે જોતા અનેક વોર્ડમાં એક જ જ્ઞાતિના ઉમેદવારો સામસામે ટકરાશે. પરિણામે, હાર-જીત ગમે તે પક્ષની થાય, પણ વિજેતા ઉમેદવાર તો જે-તે જ્ઞાતિનો જ હશે તે જેથી સમાજનું પ્રભુત્વ સત્તામાં રહેશે. હવે ફોર્મ પરત ખેંચવાની તારીખ પૂર્ણ થઈ જતાં ઉમેદવારો મતદારોને રીઝવવા પ્રચારમાં જોડાશે. પાટણ પાલિકાની ચૂંટણીનો જંગ કયા વોર્ડમાં કેવો રહેશે ભાસ્કર ઈન્સાઈડબંને પક્ષોમાં બળવો ના થતા 42 અપક્ષ અને આપના 25 ઘટતા સંખ્યા ઘટઆ વખતે જ્ઞાતિ વાઇઝ સાથે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાં ઉમેદવારો ઉતાર્યા હોય સામે બળવો મર્યાદિત થતા 42 અપક્ષ ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો સાથે 2021 વર્ષમાં 42 ઉમેદવારની સરખામણીમાં 2026 માં આમ આદમી પાર્ટીના માત્ર 17 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે એટલે 25 ઉમેદવાર ઓછા થયા છે. સાથે અન્ય રાજકીય પાર્ટીઓએ પણ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા ના હોય આ વખતે 77 જેટલા ઉમેદવારોનો ઘટાડો થયો છે. ભાજપ ફોડશે તેના ડરે કોંગ્રેસે 3 ઉમેદવારોને દિવસભર સંતાડ્યા :પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જણાવ્યું હતું કે પટેલ દિનેશભાઈ નરોત્તમભાઈ વોર્ડ નંબર 11, સુભદ્રાબેન મોદી વોર્ડ નંબર 09, ભારતીબેન જયદીપ પ્રજાપતિ વોર્ડ નંબર 02 ત્રણેય ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે ભાજપ દ્વારા અંતિમ દિવસે લેતી દેતી અને સામાજિક દબાણ આવતું હોય એટલે અમે ત્રણ ઉમેદવારોને અજ્ઞાતવાસમાં મોકલી દીધા હતા. અને ચૂંટણી ફોર્મ પરત ખેંચવાના સમય પૂર્ણ થયા બાદ ચૂંટણી પ્રચારમાં કાર્યરત કરી દીધા હતા. વોર્ડ નંબર ઉમેદવારોની કુલ સંખ્યા

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 7:05 am

ઈપીએફઓના અધિકારીએ બેફામ સંપતિ એકત્ર કરતાં સીબીઆઈના સાણસામાં

આવક કરતાં અનેકગણી સંપત્તિનો કેસ અગાઉ કાંદિવલીમાં પરજ બજાવતા હતો ત્યારે વીથડ્રોઅલના બદલામાં પૈસા માગ્યાનો આરોપઃ પત્ની સામે પણ કેસ થયો છે મુંબઇ - સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)ના એક અધિકારી સામે કથિત રીતે ૬૧.૫૫ લાખ રૃપિયાની સંપતિ એકઠી કરવા બદલ અપ્રમાણસર સંપતિનો ગુનો નોંધ્યો છે. આરોપી અધિકારી એનજે બામને જાન્યુઆરી ૨૦૧૨થી ડિસેમ્બર ૨૦૨૨ સુધીના ૧૦ વર્ષના સમયગાળા દરમિયાન ઇપીએફઓના કાંદિવલી (ઇ) યુનિટમાં એકાઉન્ટસ વિભાગમાં પોસ્ટેડ હતો. સીબીઆઇના જણાવ્યા અનુસાર આ ૬૧.

ગુજરાત સમાચાર 16 Apr 2026 7:00 am

ભાસ્કર ખાસ:યુવાનોને આકર્ષવા વીડિયો શૂટિંગ અને પ્રોફેશનલ એડિટિંગ પાછળ પૈસા વાપરી રહ્યા છે

​પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનનો દિવસ ખૂબ જ નજીક હોય પ્રચાર માટે ઉમેદવારોને ઘરે ઘરે પહોંચવું કઠીન હોય આ વખતે ઉમેદવારો હવે પ્રચારની સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર વધુ સક્રિય થયા છે. પોસ્ટર,આકર્ષક રિલ્સ અને AI ના ગ્રાફિક્સ બનાવી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી રહ્યા છે. સાથે વધુ ફોલોવર્સ ધરાવતા પેજને પૈસા ચૂકવી તેમના મારફતે પણ પ્રચાર કરાવતા જિલ્લામાં સોશિયલ મીડિયા પર પ્રચાર-પ્રસાર અત્યંત તેજ બન્યો છે.રાજકીય પક્ષોના ઉમેદવારો પ્રચાર માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધુ કરતા તેના ભાવમાં પણ વધારો થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો ફાઇનલ થયા બાદ રાજકીય પક્ષો સાથે ઉમેદવારોમાં વિસ્તારમાં રૂબરૂ પ્રચારની સાથે સોશિયલ મીડિયા ઉપર વધુ પ્રચાર કરવાનો કેઝ જોવા મળી રહ્યો છે.પાટણમાં હાલમાં 15થી વધુ એવા પ્રભાવશાળી લોકલ સોશિયલ મીડિયા પેજ ચાલે છે.જેમાં 10 હજાર થી 1 લાખ સુધીના ફોલોવર્સ છે.જે ચૂંટણી પ્રચાર માટે મહત્વનું માધ્યમ સાબિત થયા છે. પરિણામે આ પેજ સંચાલકો દ્વારા વસૂલવામાં આવતા ચાર્જમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે.સામાન્ય રીતે 5 થી 10 હજાર ફોલોવર્સ ધરાવતા પેજ એક પોસ્ટ મૂકવા માટે 500 રૂપિયા ચાર્જ વસૂલ કરે છે, જ્યારે 10 હજારથી 1 લાખ સુધીના મોટા ફોલોવર્સ ધરાવતા પેજ એક પોસ્ટના 1000 થી 1500 રૂપિયા સુધીનો ભાવ લઈ રહ્યા છે. એડિટિંગ કરાવી રીલ્સ અપલોડ કરવાનો ભાવ વધ્યોઆજના યુગમાં મતદારોને આકર્ષવા માટે રીલ્સ સૌથી લોકપ્રિય હથિયાર બન્યું છે, જેના માટે ઉમેદવારોએ ખાસ વીડિયો શૂટિંગ અને એડિટિંગ કરાવી રીલ્સ બનાવવા માટે 2000 થી 2500 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે. એટલું જ નહીં, સામાન્ય દિવસોમાં નેતાઓના તહેવારલક્ષી પોસ્ટર બનાવવા માટે જે માસિક ચાર્જ 1000 રૂપિયા હતો, તેમાં હવે 500 રૂપિયાનો સીધો વધારો થતાં હાલમાં પોસ્ટર બનાવવા માટે 1500 રૂપિયા લેવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 6:57 am

ભયંકર આગ લાગી:કાણોદર કંપનીમાં ઓઈલની ટાંકીમાં સળીયો‎પડતાં આગ ભભૂકી, 10થી વધુ મજૂરો દાઝ્યા‎

પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર કાણોદર નજીક આવેલી આદર્શ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં બુધવાર સાંજે પેટ્રોલિયમ કેમિકલની ટાંકીમાં લોખંડનો સળીયો પડતાં આગ ભભૂકી હતી. કેમિકલ ઉડતાં 10થી વધુ મજૂરો દાઝી ગયા હતા. જેમાંથી વધુ દાઝેલા 4 લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. 70 ટકાથી વધુ દાઝી ગયેલા બે મહિલા અને એક પુરુષને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરાયા હતા, જ્યારે એક મહિલાને સર્જરી વોર્ડમાં દાખલ કરાઈ હતી. પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર કાણોદર ગામ નજીક આવેલી આદર્શ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ડીઝલમાંથી સોલ્વન્ટ કેમિકલ બનાવવામાં આવે છે. બુધવાર સાંજે આશરે 5 વાગ્યાની આસપાસ પેટ્રોલિયમ કેમિકલની ટાંકીમાં લોખંડનો સળીયો પડતાં આગ ભભૂકી ઉઠી હતી. તે સમયે દિવસની પાળીમાં કામ કરી રહેલા 10થી વધુ મજૂરો દાઝી ગયા હતા. તમામને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ દાઝેલા 4 લોકોને સાંજે 6:30 વાગ્યે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં વધુ દાઝેલા બે મહિલા અને બે પુરુષ બિહારના વતની હતા, જે ત્રણ મહિના પહેલા કામ માટે અહીં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને પ્રાંત અધિકારી ડો. ડી.એ. ભારાઈ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ડો.સુનિલ જોશીની આગેવાનીમાં 15થી વધુ ડોક્ટરની ટીમે સારવાર શરૂ કરી હતી. જેમાંથી 70 ટકાથી વધુ દાઝેલા રાજાકુમાર લાલનરામ દાસ, વિવેકકુમાર દાસ અને અંજલિકુમારી ઉમા પાસવાનને અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 6:50 am

કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ‎:લાખવડ, વિરમપુરા, દેત્રોજપુરાને મનપામાંથી બાકાત કરો

ગામલોકોની સંમતી મેળવ્યા વિના મહેસાણા મહાનગરપાલિકામાં ભેળવાયેલા લાખવડ, વિરમપુરા અને દેત્રોજપુરા ગામોને મનપામાંથી રદ કરી પંચાયતનો વહીવટ પરત સોંપવા માટેની માગણી કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દેલા અને રામપુરા સહિતના ગામો આ મામલે હાઇકોર્ટ ગયા છે અને હવે આ ત્રણ ગામોના સમાવેશ મામલે કિસાન સંઘ મેદાને આવ્યું છે. જિલ્લા ભારતીય કિસાન સંઘના મંત્રી રતિલાલ પટેલે મુખ્યમંત્રીને કરેલી લેખિત રજૂઆતમાં ગામલોકોની આ બાબતે કોઈ સ્પષ્ટતા કે વિકાસમાં શું થશે તે અંગે મીટીંગ કે ગ્રામસભા બોલાવી સમજ અપાઇ નથી કે મંજૂરી પણ લીધી નથી. ફક્ત રાજકીય લોકો ભેગા થઈ સાંઠ ગાંઠ કરી સરપંચના હોદ્દાનો દુરુપયોગ કરી ગામલોકોની જાણ બહાર એકતરફી ઠરાવ આપી ગામ સાથે છેતરપિંડી કરેલ છે. આ ગામોને રદ કરવા સાથે મનપામાં ભેળવવાની તમામ પ્રક્રિયા બાબતે ફરી કાયદેસર ગ્રામસભા ભરી સંમતી લઈને ચર્ચા વિચારણા કરી બહુમતી લોકોની સંમતી મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે, નાના અને પશુપાલનનો ધંધો કરતા ખેડૂતો ઓછી જમીનો ધરાવે છે અને તેમની કિંમતી જમીન 80 મીટરના રિંગ રોડમાં જતી હોય ખેડૂતો આપઘાત કરે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે ખેડૂતોની મહામૂલી જમીન 40%ના નામે કપાત કરી વેપાર ધંધા ધોરણે મનપા ઉપયોગ કરવાની છે તે રદ કરવું, ખેડૂતોની જે કોઈ જમીન કપાતી હશે તો તેમને તે જમીન અન્ય જગ્યાએ આપવી અને હાલના બજારભાવે જમીનની કિંમત ચૂકવવી જેથી તે સામે જમીન મેળવી શકે આ માંગણીઓ જ્યાં સુધી ન સંતોષાય ત્યાં સુધી આ ગામોને મૂળ સ્થિતિમાં પરત કરવા અને પંચાયતી રેકર્ડ પરત સોંપવા માંગણી કરાઈ છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 6:47 am

ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ:મનપામાં વોર્ડ નં.1, 11, 7માં 5 બેઠક ભાજપે કબજે કરી, 47 બેઠકો માટે 26મીએ મતદાન

મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમવાર યોજાનારી ચૂંટણીમાં 13 વોર્ડની 52 બેઠકો પર 133 પૈકી 6 ઉમેદવારોએ બુધવારે અંતિમ દિવસે ફોર્મ પરત ખેંચી લેતાં 5 બેઠક પર ભાજપ બિનહરીફ થયો છે. હવે બાકીની 47 બેઠકો માટે કુલ 122 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. મતદાન 26 એપ્રિલે યોજાનાર છે. મનપાના વોર્ડ નં.11માં ચકાસણી દરમિયાન કેટલાક ફોર્મ અમાન્ય ઠરતાં સામાન્ય સ્ત્રી અને પછાત વર્ગ સ્ત્રીની બે બેઠક બિનહરીફ બની છે. વોર્ડ નં.1માં આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચતાં પછાત વર્ગ અને પછાત વર્ગ સ્ત્રીની બે બેઠક બિનહરીફ થઈ છે. વોર્ડ નં.7માં કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતાં અનુસૂચિત જાતિ સ્ત્રીની એક બેઠક બિનહરીફ બની છે. આ તમામ 5 બેઠક ભાજપના ખાતામાં ગઇ છે. હવે કોંગ્રેસના 44, આમ આદમી પાર્ટીના 27, AIMIMના 2, બસપાના 1 અને 1 અપક્ષ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહ્યા છે. મનપાની ચૂંટણીમાં દરેક વોર્ડમાં 4 બેઠક હોય છે. પરંતુ વોર્ડ નં.1 અને 11માં બે-બે બેઠક બિનહરીફ થતાં હવે અહીં માત્ર બે બેઠક માટે મતદાન થશે. પરિણામે, વોર્ડ નં.1ના 17,126 અને વોર્ડ નં.11ના 11,864 મળી કુલ 28,990 મતદારો મહત્તમ બે મત આપી શકશે. મતદારો બે કરતાં ઓછા મત પણ આપી શકે છે અથવા NOTAનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. તે જ રીતે, વોર્ડ નં.7માં ચાર પૈકી એક બેઠક બિનહરીફ થતાં હવે માત્ર ત્રણ બેઠક માટે મતદાન થશે. તેથી અહીંના 12,071 મતદારો મહત્તમ ત્રણ મત આપી શકશે. આ સાથે ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. તા.પં.ની 15 અને જિ.પં. ત્રણ બેઠકો બિનહરીફ મહેસાણા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી માટે તા.26 એપ્રિલે મતદાન યોજાશે. જિલ્લા પંચાયતની 42માંથી 3 બેઠક બિનહરીફ થતાં હવે 39 બેઠક પર 100 ઉમેદવાર વચ્ચે જંગ થશે. તાલુકા પંચાયતની 476 બેઠકો માટે ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે 15 બેઠક બિનહરીફ થઇ છે. પાંચ નગરપાલિકામાં કુલ 212 ઉમેદવારો હરીફાઈમાં છે અને 62 બેઠક બિનહરીફ જાહેર થઈ છે. મહેસાણા મહાનગરપાલિકાની 47 બેઠકમાં 122 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે, જેમાં 5 બેઠક ભાજપ બિનહરીફ જીતી ચૂક્યું છે. નગરપાલિકામાં કુલ 62 બેઠકો બિનહરીફ થઇ છે. જેમાં કડીમાં 28, ઊંઝામાં 22, વિસનગરમાં 7 અને વિજાપુરમાં 5 બેઠકનો સમાવેશ થાય છે. તાલુકા પંચાયતની 15 બિનહરીફ બેઠકોમાં ઊંઝામાં 5, વિજાપુરમાં 3, મહેસાણા અને વિસનગરમાં 2-2 તથા સતલાસણા, કડી અને ખેરાલુમાં 1-1 બેઠકનો સમાવેશ થાય છે. કોંગ્રેસના બે અને આપના ત્રણ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યાં, ભાજપના 47, કોંગ્રેસના 44, આપના 27 ઉમેદવાર મેદાનમાંજિલ્લામાં 10 તાલુકા પંચાયતોની 212 અને જિલ્લા પંચાયતની 42 બેઠકો માટે બુધવારે ફોર્મ પરત ખેંચવાના દિવસે મોટેભાગે કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતાં 10 તાલુકા પંચાયતની 15 અને જિલ્લા પંચાયતની ઊંઝા તાલુકાની કહોડા, વિસનગરની ભાલક અને મહેસાણા તાલુકાની ખેરવા બેઠક પર ભાજપ બિનહરીફ થયું હતું. જિલ્લા પંચાયતની બિનહરીફ થયેલી મહેસાણા અને વિસનગરની બંને બેઠકો ઉપર ભાજપે વહીવટ કરીને કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચાવ્યું હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ફોર્મ પરત ખેંચી લેનારા ઉમેદવારો બિનહરીફ વિજેતા ભાજપના ઉમેદવારો ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે દબાણ અને રાજકીય ગતિવિધિ તેજફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કેટલાક ઉમેદવારો સંપર્કમાં નહોતા. દબાણ અને મનાવવાની કોશિશો કેટલાક ઉમેદવારોના ઘરો સુધી પહોંચી હતી અને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા હતા. કેટલાક ઉમેદવારો દબાણથી બચવા માટે આખો દિવસ જાહેરમાં દેખાયા નહોતા અને એકાંતમાં રહ્યા હતા. વોર્ડ નં.1 અને 12માં પણ આવી રાજકીય હલચલ જોવા મળી હતી. ચારેય બેઠકો પર ત્રિપાંખિયો જંગ માત્ર વોર્ડ નં.9માં13 વોર્ડમાં માત્ર વોર્ડ નં.9માં ચારેય બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આપના 4-4 ઉમેદવારો મળી 12 ઉમેદવારો હોઇ ત્રિપાંખીયો જંગ છે. વોર્ડ નં.3 અને 4માં પણ 12-12 ઉમેદવારો છે. વોર્ડ નં.3માં ભાજપ-કોંગ્રેસના 4-4, આપના 3 અને બસપાના 1 ઉમેદવાર છે. જ્યારે વોર્ડ નં.4માં ભાજપ, કોંગ્રેસના 4-4, આપના 3, એક અપક્ષ ઉમેદવાર છે. માતાજીએ દોઢ નહીં આપતાં ઉમેદવારે ફોર્મ પરત ના ખેંચ્યુંમહેસાણા નજીક આવેલી તાલુકા પંચાયત બેઠક માટે ગ્રામજનો અને આગેવાનો સાથે વાતચીત થયા બાદ ભાજપના આગેવાનો બુધવારે ઉમેદવારના ત્યાં પહોંચ્યા હતા. જ્યાં ઉમેદવારે માતાજી દોઢ આપે તો ફોર્મ પાછું ખેંચવાનું કહ્યા બાદ માતાજી સમક્ષ દાણા નાખીને રજા માગી હતી. જોકે, માતાજીએ દોઢ ન આપતાં આ ઉમેદવારે ફોર્મ પરત નહીં ખેંચતાં ભાજપની મહેનત પાણીમાં ગઇ હતી. પોલીસે ભાજપના કાર્યકરનું કામ કર્યું : કોંગ્રેસખેરવા જિલ્લા પંચાયતની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચવા મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે જણાવ્યું કે, બિલકુલ પૈસાની લાલચમાં અને પૈસાથી સેટ થયું છે અને સમગ્ર જિલ્લામાં પોલીસે પૈસા અને દાદાગીરીથી ફોર્મ પરત ખેંચાવ્યા છે. પોલીસે ભાજપના કાર્યકરનું કામ કર્યું છે. ધમકાવાથી લઇને પૈસાનું સેટિંગ સહિતનું કામ કર્યું છે. કોઈપણ ઉમેદવારે ખરા દિલથી કે પ્રેમથી ફોર્મ પરત ખેંચ્યું નથી.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 6:46 am

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થયું:કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની 448 બેઠકો પર 1090 ઉમેદવારો વચ્ચે થશે ટક્કર

કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. 15 એપ્રિલના રોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે અનેક મુરતિયાઓએ મેદાન છોડ્યું હતું. તો ભાજપ દ્વારા 28 બેઠકો બિનહરીફ કરવાનો દાવો કરવામાં આવ્યો છે, હવે 448 બેઠકો પર 1090 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે. આગામી 26 એપ્રિલના રોજ કચ્છની જનતા આ પ્રતિનિધિઓના ભાવીનો ફેંસલો કરશે. ગાંધીધામ નગરપાલિકાની 52 બેઠકો માટે હવે 160 ઉમેદવારો મેદાનમાં છે. અંતિમ દિવસે અહીંથી એક ફોર્મ પરત ખેંચાયું હતું. જ્યારે ભુજ, અંજાર, માંડવી અને મુંદરા-બરોઈ સહિતની પાંચ નગરપાલિકાઓની કુલ 172 બેઠકો પર 380 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ભુજમાંથી 3, અંજારમાંથી 3, માંડવીમાંથી 1 અને મુંદરામાંથી 2 ઉમેદવારોએ પોતાની દાવેદારી પાછી ખેંચી હતી. કચ્છ જિલ્લા પંચાયતની 38 બેઠકો માટે છેલ્લી ઘડીએ 9 ઉમેદવારોએ નામ પરત ખેચી લેતા હવે 109 ઉમેદવારો વચ્બાચે જંગ ખેલાશે. તો બીજી તરફ, જિલ્લાની 9 તાલુકા પંચાયતોની 186 બેઠકો માટે 499 ઉમેદવારો મેદાને છે. તાલુકા પંચાયતોમાં કુલ 39 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા, જેમાં સૌથી વધુ ભચાઉમાંથી 7 અને માંડવીમાંથી 8 ઉમેદવારોએ મન બદલ્યું હતું. ભુજમાં 5, નખત્રાણામાં 5 અને અબડાસામાં 4 ઉમેદવારોએ ચૂંટણી જંગમાંથી પીછેહઠ કરી છે.હવે જ્યારે ઉમેદવારોની સંખ્યા નક્કી થઈ ગઈ છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા 26 એપ્રિલના મતદાન માટેની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. સ્થાનિક સંસ્થા પ્રમાણે ઉમેદવાર પર પરત ખેચાયેલ ફોર્મની સંખ્યા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થો માટેની બેઠક અને ઉમેદવાર

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 6:32 am

લીકેજથી પાણીનો વ્યય:માધાપર પાસે નર્મદાની પેટા પાઇપ લાઇનમાં પડેલું ભંગાણ આસપાસના રહેવાસીઓ માટે ધોબીઘાટ

ભુજ નજીક માધાપરમાં ગાંધી સર્કલથી સરસ્વતી વિદ્યાલય તરફ જતા આવેલા પુલની નીચેથી પસાર થતી નર્મદાની પેટા પાઇપ લાઇનમાં છેલ્લા ઘણા મહિનાઓથી લીકેજની સમસ્યા તરફ જાગૃત નાગરિકે ધ્યાન દોર્યું છે. મુખ્ય લાઇનમાં ભંગાણ પડે ત્યારે તાત્કાલિક રીપેરિંગ કરવામાં આવે છે, પરંતુ અહીં પેટા લાઇનમાં ચાલતા લીકેજ પ્રત્યે તંત્રનું ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે. આ લીકેજમાંથી સતત હજારો લિટર પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે. સ્થાનિક કામદાર વર્ગના લોકો આ લીકેજનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે પાઇપ પર કપડું બાંધી તેને નળનું સ્વરૂપ આપી દીધું છે અને ધોબીઘાટ તરીકે ઉપયોગ કરી રહ્યા છે, જે તેમની જરૂરિયાત પૂરી કરે છે. છતાં, મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થતો અટકાવવો જોઈએ. આ પાણી નદીમાં જઈને ગટરના પાણી સાથે મિશ્રિત થઈ બગડે છે. જાગૃત નાગરિકોએ તંત્રને તાત્કાલિક રીપેરિંગ કરીને પાણીનો વ્યય રોકવા માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 6:12 am

કચ્છ ભાજપનો દાવો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 26 બેઠકો બિનહરીફ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ચાલી રહેલી તબક્કાવાર પ્રક્રિયાઓ દરમિયાન ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે ત્યારે કચ્છ જિલ્લા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં વિવિધ બેઠકો પર મળીને કુલ ૨૬ જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ બિનહરીફ કબજે કરીને નગારે ઘા માર્યો હોવાનો દાવો જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે કર્યો છે. અંતિમ ચિત્ર મુજબ એક જીલ્લા પંચાયત બેઠક, 9 તાલુકા પંચાયત બેઠકો, એક મહાનગરપાલિક બેઠક તેમજ 15 નગરપાલિકા બેઠકો સહિત કુલ 26 બેઠકો બિનહરીફ રીતે ભારતીય જનતા પાર્ટીને મળવાથી જિલ્લાના પ્રત્યેક કાર્યકર્તાઓનો જોશ અને આત્મવિશ્વાસ આજે આસમાનને સ્પર્શી રહ્યો છે. ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ તેમજ રાજ્યમાં ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની બંને સરકારોએ કચ્છ માટે કરેલા અનેક વિકાસકાર્યોના ફળસ્વરૂપે આજે કચ્છમાં વિપક્ષોને મોઢું સંતાડવાની પણ ક્યાંય જગ્યા બચી નથી. વિરોધીઓ પર પ્રહાર કરતા વરચંદે જણાવ્યું હતું કે માત્ર ચૂંટણીના દિવસોમાં જ લોકોના પ્રશ્નો અને લોકોને યાદ કરતા અને કાચિંડા જેવા રંગ બદલતા વિપક્ષોને કચ્છની શાણી જનતા ખૂબ સારી રીતે ઓળખી ચૂકી છે અને માટે જ તેઓને ચારે દિશાઓથી જાકારો મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 6:10 am

હાજીપીરના મેળામાં શ્રદ્ધાળુંઓની ભીડ:હાજીપીરના મેળામાં એસટીને 329 ટ્રીપ દ્વારા 22 લાખની આવક

કચ્છના સુપ્રસિદ્ધ અને કોમી એકતાના પ્રતીક સમાન હાજીપીરના મેળામાં આ વર્ષે એસટી નિગમ દ્વારા કરવામાં આવેલા એક્સ્ટ્રા બસોના સંચાલનને વ્યાપક પ્રતિસાદ સાંપડ્યો છે. ભુજ એસટી વિભાગ દ્વારા મેળા દરમિયાન કુલ 329 ટ્રીપનું સંચાલન કરાયું હતું, જેના થકી વિભાગને અંદાજે 22 લાખની માતબર આવક થઈ છે. એસટી વિભાગના સત્તાવાર આંકડા મુજબ, આ વર્ષે કુલ 13,382 પુખ્ત મુસાફરો અને 924 બાળકોએ એસટી સેવાનો લાભ લીધો હતો. ગત વર્ષની સરખામણીએ આ વખતે મુસાફરોની સંખ્યામાં 500નો વધારો નોંધાયો છે, જ્યારે આવકમાં પણ અંદાજે 2 લાખ રૂપિયાનો વધારો થયો છે. વિભાગને પ્રતિ કિલોમીટર દીઠ સરેરાશ 59 રૂપિયાની આવક પ્રાપ્ત થઈ છે. યાત્રિકોની સુવિધા માટે એસટી તંત્ર દ્વારા હાજીપીર ખાતે ખાસ કંટ્રોલ પોઈન્ટ ઉભો કરાયો હતો. મેળા દરમિયાન હાજીપીરથી ભુજ, માંડવી, મુન્દ્રા અને નખત્રાણા સહિતના રૂટો પર વધારાની બસો દોડાવવામાં આવી હતી. જામનગર અને મોરબી સહિતના અન્ય જિલ્લાઓમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે પણ પરિવહન વ્યવસ્થા જાળવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 6:08 am

વેધર રિપોર્ટ:ભુજ રાજ્યનું બીજું સૌથી ગરમ શહેર, રવિવારથી રવીનો પ્રકોપ ઘટવાની વકી

છેલ્લા કેટલાક દિવસોથી સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં ગરમીનો પારો સતત વધી રહ્યો હોવાથી કચ્છીઓ રીતસરના પસીને નાહી રહ્યા છે. બપોરના સમયે રસ્તાઓ પર સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ આગામી 18 એપ્રિલ સુધી ગરમીનું જોર યથાવત રહેશે, પરંતુ રવિવારથી લોકોને આ આકરી ગરમીમાંથી થોડી રાહત મળવાના સંકેતો મળી રહ્યા છે. બુધવારે રાજ્યના સૌથી ગરમ શહેરોની યાદીમાં ભુજ બીજા ક્રમે રહ્યું હતું. જિલ્લા મથક ભુજમાં તાપમાનનો પારો 40.6 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે અમદાવાદ અને રાજકોટ 40.7 ડિગ્રી સાથે રાજ્યના સૌથી ગરમ શહેરો રહ્યા હતા. ગરમીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોવાને કારણે લોકો અસહ્ય બફારા અને લૂનો અનુભવ કરી રહ્યા છે. જિલ્લાના અન્ય ભાગોમાં પણ ગરમીની અસર વરતાઈ રહી છે. કંડલા એરપોર્ટ વિસ્તારમાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પારો થોડો નીચો રહ્યો હતો, જેમાં નલિયા 34.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે, આ વિસ્તારોમાં પણ બપોરના સમયે ગરમ પવનો ફૂંકાતા જનજીવન પ્રભાવિત થયું છે. મોસમ વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ એટલે કે શનિવાર સુધી તાપમાન 40 ડિગ્રીની આસપાસ જળવાઈ રહેશે. જોકે, રવિવારથી પવનોની દિશામાં ફેરફાર થવાને કારણે ગરમીનો પ્રકોપ ઓછો થશે. રવિવારથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. તેમ છતાં, અમુક ‘આઈસોલેટેડ પ્લેસ’ (છૂટાછવાયા સ્થળો) પર તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 6:08 am

ભુજ વોર્ડ નં - 10:નાનો વર્ગ અને રિલોકેશન સાઈટના પ્રશ્નો યથાવત

ભુજ નગરપાલિકાનો વોર્ડ નંબર 10 એટલે શહેરનું પ્રવેશદ્વાર, જ્યાં આરટીઓ રિલોકેશન રહેણાંક વિસ્તાર, માધાપર તરફ જતા માર્ગ તરફની કોલોનીઓ, જનરલ હોસ્પિટલ, મેન્ટલ હોસ્પિટલ પાસે, રામકૃષ્ણ કોલોની અને કેમ્પ વિસ્તાર સુધીનો વ્યાપક વિસ્તાર આવરી લેવાયો છે. આ વિસ્તારમાં નાગરિક સુવિધાઓ અને સમસ્યાઓનું વિશ્લેષણ કરીએ તો વિકાસ સાથે અનેક જૂની સમસ્યાઓ યથાવત છે. ભુજના દૂર દૂરના વિસ્તારો માટે આશીર્વાદરૂપ બનેલી સીટી બસની સેવા સાત વર્ષ પહેલાં બંધ થવાને કારણે આ વિસ્તારોમાં રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જાહેર પરિવહનની અછત આજ સુધી યથાવત છે, જે સ્થાનિક લોકો માટે સૌથી મોટી ખોટ કહી શકાય. પાણી પુરવઠાની દૃષ્ટિએ નર્મદા યોજના હેઠળ જોડાણ મળવાથી ઘણો ફાયદો થયો છે, પરંતુ વિતરણની વ્યવસ્થામાં હજુ સુધારાની જરૂર છે. રોડલાઈટ સંબંધિત સમસ્યાઓ પણ યથાવત છે, ઘણા વિસ્તારોમાં લાઈટના થાંભલા હોવા છતાં પૂરતી રોશની મળતી નથી. આંતરિક માર્ગો પર અનાવશ્યક સ્પીડબ્રેકર (બમ્પ) બનાવવામાં આવ્યા છે, જ્યારે રાજગોર વાડી પાસે જોખમી વળાંકો પર ખાડાઓ હોવાને કારણે અકસ્માતની શક્યતા વધી રહી છે. વોર્ડ દસમાં જ્યાં નાનો વર્ગ રહે છે ત્યાંના મુખ્ય માર્ગોની સ્થિતિ વખાણવા જેવી નથી. રામકૃષ્ણ કોલોની અને આસપાસના વિસ્તારોમાં સિમેન્ટ રોડ તૂટી ગયા છે, જ્યારે આંતરિક રસ્તાઓની હાલત તો વધુ ખરાબ છે. સફાઈ બાબતે પણ નાગરિકો વર્ષોથી ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ યોગ્ય ઉકેલ મળતો નથી. આ રીતે, વોર્ડ નંબર 10 માં વિકાસના કેટલાક સકારાત્મક પગલાં છતાં મૂળભૂત સુવિધાઓમાં ખામીઓ યથાવત રહી છે, હવે પાલિકાની ચૂંટણી નજીકમાં છે અને જે કોઈ ચાર બેઠક પર નગર સેવકો આવે તે પરંતુ પ્રજાના પ્રશ્નો માટે પ્રયત્નશીલ રહે તે જ સાચો વિકાસ કહેવાશે. મકાન બાંધકામ માટે ભાડા કે પંચાયતની મંજૂરી લેવી ?ભુજની ભાગોળે માધાપર તરફ આવેલી પાંચ કોલોનીઓમાં મકાન કે વાણિજ્ય સંકુલના બાંધકામ માટે મંજૂરી મેળવવા માટે પંચાયત કે ભાડાના નિયમોને અનુસરવું તે મૂંઝવણ હજુ પણ છે. ભાડાની હદમાં આવતો હોવાથી તેના નિયમોને અનુસરવું પડે પરંતુ વાણિજ્ય સંકુલ બનાવવા માટે પંચાયતની મંજૂરી ફાયદાકારક હોવાથી નિયમોમાં ફેરફારનો લાભ લેતા જોવા મળે છે. શિવમ કોલોની, એન.આર.આઇ. નગર, શ્રીજી નગર, હીરાણી નગર સહિતનો વિસ્તાર ભુજ માધાપર બંનેનો છે પરંતુ વોર્ડ નંબર 10 ના મતદારો અહીં રહે છે. ગુજરાત હાઉસીંગ બોર્ડ કોલોની, કેમ્પ એરિયા, જલારામ સોસાયટી, ન્યુ નાગરિક સોસાયટી, રામકૃષ્ણ કોલોની, અંબિકા સોસાયટી, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, નોડે ફળિયા, મેન્ટલ હોસ્પિટલ વિસ્તાર, પઠાણ ફળિયા, આરટીઓ રીલોકેશન, સોમૈયા નગર, શિવમ પાર્ક, શ્રીજી નગર, એન.આર.આઈ સોસાયટી, હિરાણી નગર, તારાત્મા બગલોઝ વિસ્તાર

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 6:06 am

માઉન્ટેડ પોલીસ બનાવશે તાલીમાર્થીને પ્રોફેશનલ રાઈડર:પશ્ચિમ કચ્છ પોલીસના હેડક્વાર્ટરમાં અશ્વપ્રેમીઓ માટે ખુલી ‘લગામ’ !

પશ્ચિમ કચ્છ પોલીસ હેડકવાર્ટર ખાતે માઉન્ટેડ પોલીસ દ્વારા ત્રણ મહિનાની ઘોડેસવારી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.તાલીમ લેવાની ઈચ્છા ધરાવતા લોકો ફોર્મ ભરી આગામી 1 મેથી ઘોડેસવારી શીખવાનું લાભ મેળવી શકશે.જેમાં વિદ્યાર્થી અને સરકારી કર્મચારીઓ માટે 50 ટકા રાહત આપવામાં આવી છે જ્યારે અન્ય લોકો માટે રૂપિયા 6 હજાર નિર્ધારિત કરવામાં આવ્યા છે. કચ્છના યુવાનો અને સાહસપ્રેમીઓ માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ઘોડેસવારી તાલીમ વર્ગ-2026 ની જાહેરાત કરવામાં આવી છે.પોલીસ હેડકવાર્ટર ખાતે આયોજિત ત્રણ મહિનાના તાલીમ વર્ગનો લાભ લેવા માટે નિર્ધારિત ફોર્મ ભરવાનું રહશે. આ અંગે માઉન્ટેડ વિભાગના પીએસઆઈ એલ.બી.મકવાણાએ વધુ વિગતો આપતા જણાવ્યું કે,આગામી 1 મેથી ઘોડેસવારી તાલીમ વર્ગ શરુ કરવામાં આવશે.જેમાં વિદ્યાર્થી અને સરકારી કર્મચારીઓને ખાસ રાહત આપી રૂપિયા ૩ હજારમાં ત્રણ મહિનાની તાલીમ આપવામાં આવશે જ્યારે અન્ય લોકો માટે રૂપિયા 6 હજાર નિધારિત કરવામાં આવ્યા છે. આ તાલીમ વર્ગમાં જોડાતા લોકો પોતાનું કામધંધો કરી શકે તે માટે વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે.જેમાં પોલીસના 20 પાણીદાર અશ્વો અને 10 તાલીમાર્થી જવાનો દ્વારા ઘોડેસવારીના વિવિધ દાવપેચ શીખવવામાં આવશે. ઘોડેસવારી શીખવામાં રસ ધરાવતા લોકોએ વહેલી તકે પોલીસ હેડકવાર્ટર ખાતે સંપર્ક કરી નોંધણી કરવાની રહેશે.પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ તાલીમ વર્ગનો હેતુ સ્થાનિક યુવાનોમાં શિસ્ત,સાહસ અને ઘોડેસવારીની કળાને પ્રોત્સાહન આપવાનો છે.આ અંગે વધુ માહિતી માટે 99797 14800 નંબર પર સંપર્ક કરી શકાશે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 6:04 am

રાજકીય ઉથલપાથલ સર્જાઈ:શહેરના 11માં વોર્ડની ચારેય બેઠકો બિનહરીફ થતા આ વોર્ડના મતદારોનો મતાધિકાર છીનવાયો

પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે રાજકીય ઉથલપાથલ જોવા મળી હતી. બુધવારે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં કુલ ઉમેદવારોની સંખ્યા હવે 106 રહી છે. પરિણામે 44 બેઠકોમાંથી 6 બેઠકો ભારતીય જનતા પાર્ટી દ્વારા બિનહરીફ કબજે કરાઇ છે, જ્યારે બાકીની 38 બેઠકો પર 26 એપ્રિલે મતદાન યોજાશે. ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરાયેલી અંતિમ યાદી મુજબ વોર્ડ નંબર 11માં ભાજપના ચારેય ઉમેદવારો સામે કોઈપણ હરીફ ઉમેદવાર ન રહેતા તમામ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. અગાઉ અહીં ત્રણ બેઠકો બિનહરીફ હતી, પરંતુ ભાજપના કમલ ગઢવી સામે ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસના વિશાલ ગઢવીએ ફોર્મ પરત ખેંચી લેતા હવે સમગ્ર વોર્ડમાં મતદાન નહીં થાય. જેના કારણે સ્થાનિક મતદારોને પોતાની સમસ્યાઓ મતદાન દ્વારા વ્યક્ત કરવાની તક ગુમાવવી છે વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 8માં પણ ભાજપના એક-એક ઉમેદવાર બિનહરીફ જાહેર થતા કુલ છ બેઠકો ભાજપના ખાતામાં ગઈ છે. કોંગ્રેસના પ્રવક્તાના જણાવ્યા અનુસાર કુલ 8 બેઠકો પર ઉમેદવારો પાછા ખસ્યા છે, જેમાં વોર્ડ નંબર 11ની ચાર બેઠકો ઉપરાંત વોર્ડ નંબર 7માં કુણાલ વિનય રેલોન અને શિલ્પાબેન જોશીના ટેકેદારો દ્વારા સહી ન કરવાના મુદ્દે ટેકો પાછો ખેંચાયો હતો. વોર્ડ નંબર 8માં ફોર્મ અધૂરું હોવા તથા વોર્ડ નંબર 4માં ટેકેદાર જ ગાયબ થવાના કારણે પણ ઉમેદવારી રદ થવાની સ્થિતિ સર્જાઈ હતી. ભુજમાં ખરેખર સારી કામગીરી કરી હોય તો ભાજપને ડરવાની જરૂર શું છે ?ભારતીય જનતા પાર્ટી 40 વર્ષથી શાસન કરે છે અને જો કામગીરી કરી હોય તો બિનહરીફ સીટ કરાવવા માટે સામે પક્ષના ઉમેદવાર અને ટેકેદારોને ફોડવાની જરૂર શું ? કોંગ્રેસે રાહુલ ગાંધી જેવા મજબૂત ઉમેદવાર તો ઉતાર્યા ન હતા, સામાન્ય હતા. તો તેમનો ફોર્મ શા માટે પાછું ખેંચાવ્યું. વોર્ડ નંબર 11માં દરેક મતદારોનો મત અધિકાર છીનવી લીધો છે. લોકશાહીની પ્રક્રિયા માટે શરમજનક વાત છે > કિશોરદાન ગઢવી, પ્રમુખ ભુજ શહેર કોંગ્રેસ અમે બિનહરીફ નથી કરાવી, કોંગ્રેસને જ જીતી શકે તેવા ઉમેદવાર ન મળ્યાવોર્ડ નં . 11 માં ચાર બેઠક કે ભુજની છ બેઠક બિનહરીફ થઈ તે ભાજપ પ્રેરિત નથી. અમે બિનહરીફ નથી કરાવી, પણ સામે કોઈ ઉમેદવાર નહોતો એટલે બિનહરીફ થયા છે. જો ભાજપ પ્રેરિત કરાવવી હોય તો ભુજની 44 બેઠકો બધી ન કરાવી લઈએ ? લોકતંત્ર છે અને સરકારી તંત્રએ પારદર્શક થઈને નિયમોને આધીન કામ કર્યું છે. વોર્ડ 11 માં પહેલેથી જ ત્રણ બેઠક પર સામે પક્ષે ફોર્મ નહોતા ભરાયા અને અંતિમ ફોર્મ જે પાછું ખેંચાયું તેમાં ભાજપનો કોઈ હાથ નથી > મિત ઠક્કર, પ્રમુખ, ભુજ શહેર ભાજપ

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 6:02 am

માયાભાઈની દીકરી પાસે ઓડી કાર અને 44 તોલા સોનું:રવિન્દ્ર જાડેજાના બેન પાસે 11 કરોડનો પ્લોટ તો ઇન્સ્ટા સ્ટાર અંકિતા પાસે ફોર્ચ્યુનર, જાણો હાઇપ્રોફાઇલ ઉમેદવારની પ્રોપર્ટી

આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને AAPએ પોત પોતાના ઉમેદવારો ઉતારી દીધા છે. જો કે આ વખતે ભાજપ અને કોંગ્રેસે સેલિબ્રિટીને વધુ પ્રાધાન્ય આપ્યું છે. ભાજપે સો.મીડિયા ઇન્ફ્લુએન્સર અંકિતા પરમાર, બે સિંગર નેહા સુથાર, રાજલ બારોટ, પૂર્વ IPS મનોજ નિનામા, ડાયરા કલાકાર માયાભાઈ આહિરની પુત્રી સોનલ ડેરને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસ રાજકોટ મનપામાં RJ આભા અને રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાને ટિકિટ આપી છે. દિવ્ય ભાસ્કરે આ 7 જાણીતા ચહેરાઓએ ઉમેદવારી સમયે કરેલા સોગંદનામાનું એનાલિસિસ કર્યું છે. ઉમેદવાર અને તેના આશ્રિતો એવા પતિ, પત્ની, પુત્ર-પુત્રી, પિતા અને માતાની સંપત્તિને સંયુક્ત ગણવામાં આવી છે. રવિન્દ્ર જાડેજા સાથે બેન નયનાબાની 5.75 કરોડની FDજ્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બેન નયનાબા જાડેજા રાજકોટ મનપાના વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર છે. તેમની પાસે 17 કરોડથી વધુની મિલકત હોવાનું સામે આવ્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મકનપુર ગામે તેમને વારસાઈ અથવા બક્ષીસમાં એક વિશાળ ખુલ્લો પ્લોટ મળેલો છે, જેની વર્તમાન બજાર કિંમત આશરે 11 કરોડ જેટલી થાય છે. ભાઈ સાથેના જોઈન્ટ એકાઉન્ટમાં 5.75 કરોડની ફિક્સ ડિપોઝિટમાં તેમનો અડધો હિસ્સો છે. મ્યુચ્યુઅલ ફંડમાં 60 લાખથી વધુનું જંગી રોકાણ કરવામાં આવ્યું છે. જયારે ઝવેરાતમાં 200 ગ્રામ એટલે કે 20 તોલા સોનું હોવાનો પણ સોગંદનામા ઉલ્લેખ છે. માયાભાઈની પુત્રી પાસે સાસરીમાં 20 લાખની જમીનડાયરા કલાકાર માયાભાઈ આહીરની પરણિત પુત્રીને ભાજપે લાઠી તાલુકા પંચાયતમાં મેદાનમાં ઉતારી છે. સોનલ આહિર (ડેર)ચાવંડ બેઠક પરથી ટિકિટ મળી છે. સોનલ ડેરે 35 લાખનું 44 તોલા સોનુ, 5 લાખની ઓડી, 10 લાખની ઓરા હુન્ડાઇ કાર, ચાવંડ ગામમાં 20 લાખની જમીન સહિતની મિલકતો દર્શાવી છે. પૂર્વ IPS પાસે બે હથિયાર અને 1.40 કરોડનો ફ્લેટશામળાજી તાલુકાની હાઈ-પ્રોફાઈલ ગણાતી ઓડ જિલ્લા પંચાયત બેઠક પરથી પૂર્વ IPS મનોજ નિનામા ભાજપના ઉમેદવાર છે. તેમણે ઉમેદવારી સમયે કરેલા સોગંદનામા મુજબ તેના પત્નીના નામ ગાંધીનગરના સરગાસણમાં 1.40 કરોડનો ફ્લેટ છે. જ્યારે દીકરી નિધિના નામે કુડાસણમાં 80 લાખની કોમર્શિયલ પ્રોપર્ટી છે. આ ઉપરાંત તેમની પાસે એક રિવોલ્વર અને એક બંધૂક છે. ઇન્સ્ટા સ્ટાર અંકિતા પાસે 8 વીઘા જમીનવડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પર ભાજપે સોશિયલ મીડિયા(ઈન્સ્ટાગ્રામ) સ્ટાર અંકિતા રોનક પરમારને ટિકિટ આપી છે. અંકિતાએ ઉમેદવારી સમયે કરેલા સોગંદનામામાં 8 વીઘા જમીન, 33 લાખનું સોનું અને ફોર્ચ્યુનર સહિતની મિલકતો દર્શાવી છે. રાજલ બારોટ પાસે વૈષ્ણોદેવી સર્કલ પાસે 70 લાખનો 2BHK ફ્લેટ ભાજપે સિંગર રાજલ બારોટને ઉના નગરપાલિકાના વોર્ડ નં-7માંથી ટિકિટ આપી છે. તેણે સોગંદનામામાં અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે 70 લાખનો 2BHK ફ્લેટ અને 17 લાખની XUV700 કાર દર્શાવી છે. જ્યારે તેના પતિ અલ્પેશ બાંભણિયા પાસે 1.40 કરોડની જમીન છે. નેહા સુથાર પાસે 20 લાખનો ફ્લેટમહેસાણા જિલ્લાના વિજાપુરથી 15 કિમી દૂર આવેલા સરદારપુર ગામની વતની અને સિંગર નેહા સુથારને ભાજપે વિજાપુર તાલુકા પંચાયતની ફૂદેડા સીટ પરથી મેદાનમાં ઉતારી છે. તેની પાસે અડાલજમાં 20 લાખનો ફ્લેટ અને 9 લાખનું 6 તોલા સોનું છે. RJ આભા 4 લાખની FDરાજકોટ શહેરના વોર્ડ નંબર 10માંથી કોંગ્રેસે RJ આભા એટલે કે આભા દેસાઈને ઉમેદવાર બનાવ્યા છે. તેણીએ 3 લાખની કાર, 4 લાખની ફિક્સ્ડ ડિપોઝિટ અને 4.50 લાખની રોકડ સહિતની પ્રોપર્ટી દર્શાવી છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 6:00 am

‘દાદાનો દીકરો હોય તો બંદુક મારી દે’:ચૂંટણીના ડખામાં સ્પાની એન્ટ્રી; ચોરણીવાળા કાકાને બોચી પકડી ખેંચ્યા, MLAને ટચ કર્યા તો મોઢે ઢીકો માર્યો

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 6:00 am

'SP અસલમ ચૌધરીને મારતી વખતે નર્વસ હતો':તળાજાના હિરવ મહેતાએ ધૂરંધરમાં સૂસાઇડ બોમ્બરનો રોલ કર્યો, શૂટિંગ વખતે રણવીરે બૂમ પાડીને કહ્યું, લેટ્સ ડુ ઇટ

બોલિવૂડ ફિલ્મ ધૂરંધરે ભારતીય સિનેજગતમાં એક નવો જ રેકોર્ડ બનાવ્યો છે. 3 હજાર કરોડ રૂપિયાની કમાણી કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની છે. એમાં પણ 19મી માર્ચે રિલીઝ થયેલી ધૂરંધર-2 એ ધૂરંધર-1ને પાછળ છોડીને વિશ્વભરમાંથી કુલ 1712 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ બન્ને બ્લોકબસ્ટર ફિલ્મમાં એક ગુજરાતી યુવાને મહત્વની ભૂમિકા અદા કરી છે. જેનું નામ હિરવ મહેતા છે. હિરવે ધૂરંધર-2માં સુસાઇડ બોમ્બર બનીને કાર ચલાવી વિલન SP અસલમ ચૌધરી (સંજય દત્ત)ને મારવાનું કામ કર્યું છે. SP અસલમ ચૌધરીનું મોત ફિલ્મમાં મોટો ટર્નિંગ પોઇન્ટ છે. હિરવ કોઇ ડાયલોગ તો નથી બોલ્યો પણ ડ્રાઇવિંગ સીન વખતે તેણે જે એક્સપ્રેશન આપ્યા છે તે ઘણા ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો તેના ફોટો સાથે માય ફેવરિટ ડ્રાયવર રીલ બનાવીને મૂકે છે. દિવ્ય ભાસ્કરે હિરવ સાથે વાત કરી હતી. જેમાં તેણે ફિલ્મ કેવી રીતે મળી? શુટિંગ સમયે શું-શું થયું હતું? રણવીર સિંહ, સંજય દત્ત જેવા મોટા કલાકારો સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? જેવા સવાલોના ખુલા દિલથી જવાબો આપ્યા હતા. એક ફોન આવ્યો ને કિસ્મત ચમકી ગઇહિરવે કેવી રીતે મૂવીમાં સિલેક્શન થયું તે વાત પરથી પડદો ઊંચક્યો. તેણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, ભગવાને મને સપોર્ટ કર્યો તો મારી કાસ્ટિંગ થઇ ગઇ. મુકેશ છાબરાની ઓફિસમાં ઓડિશન, ઇન્ટ્રોડક્શન આપ્યા પછી મારું સિલેક્શન થયું. ઇન્ટ્રોડક્શનમાં મારું નામ, હાઇટ, પ્રોફાઇલ વગેરે કહેવાનું હોય છે. ડેટામાંથી માહિતી કાઢીને ત્યાંથી મને કોલ કર્યો હતો. જેના પછી મારું ઓનલાઇન ઓડિશન થયું, લૂક ટેસ્ટ થયો. એ પછી હું મૂવીમાં ફાઇનલ થયો. રણવીર સિંહ, સંજય દત્ત, અક્ષય ખન્નાનું નામ જાણીને હોંશ ઊડી ગયાહિરવને જ્યારે ખબર પડી કે આ મૂવીમાં તો રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત જેવા દિગ્ગજ કલાકારો છે ત્યારે તેના હોંશ ઊડી ગયા હતા. આ વાતને યાદ કરતાં તેણે જણાવ્યું કે, મુકેશ છાબરાની ઓફિસથી ફોન આવે એ કોઇપણ એક્ટર માટે ઘણી મોટી વાત છે. એ અત્યારે સૌથી મોટા કાસ્ટિંગ ડિરેક્ટર છે. એમને ત્યાંથી ફોન આવે મતલબ કોઇ મોટો પ્રોજેક્ટ જ હોય. મને ખબર પડી કે આ પ્રોજેક્ટ ધૂરંધર છે. મેં સર્ચ કરવાનું શરૂ કર્યું તો એમાં મોટા મોટા નામ હતા. જેમ કે રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત, અર્જુન રામપાલ. એ જોઇને મારા તો હોંશ ઊડી ગયા કે આ તો ઘણી મોટી તક આવી ગઇ. લેહ લદ્દાખથી ચંદીગઢ અને મુંબઇ સુધી શૂટિંગતેણે ઓગસ્ટ,2025માં લેહ લદ્દાખમાં શૂટિંગ શરૂ કર્યું હતું. અક્ષય ખન્નાનું વાયરલ વોક પણ ત્યાં શૂટ થયું હતું. એ પછી રણવીર સિંહનો સીન, હિરવ ઉપર કેમેરા આવે છે એ સીન પણ ત્યાં જ શૂટ થયો હતો. હિરવ ડ્રાઇવિંગ કરતો હોય તેવો સીન ચંદીગઢમાં શૂટ થયો હતો. જ્યારે તેના ફેસના ક્લોઝઅપ સીન અડધા ચંદીગઢ અને અડધા ગોરેગાંવ ફિલ્મ સિટીમાં થયા હતા. વાંચો રહેમાન ડકૈતની ધમકી, દાઉદ કનેક્શન, લ્યારી વિશે SP ચૌધરી અસલમની પત્ની નૌરિનની સ્ફોટક વાતો અસલમ ચૌધરીને મારવાના સીનનો અનુભવ કેવો રહ્યો?સંજય દત્તને મારવાના સીન સમયે હિરવના મનમાં એક્સાઇટમેન્ટની સાથોસાથ નર્વસનેસ પણ હતી. આ અંગે તેણે કહ્યું કે, સંજય દત્તને મારવાનો સીન મારા માટે ડરામણો અનુભવ હોવાની સાથોસાથ ખુશીનો અનુભવ પણ હતો. મેં સ્ક્રિપ્ટ જોઇ ત્યારે થયું કે આટલી મોટી બોલિવૂડ ફિલ્મમાં મને એક સીન મળ્યો છે. જેમાં હું સૌથી પ્રોમિનન્ટ કેરેક્ટર SP અસલમ ચૌધરીને મારૂં છું. એક્સાઇટમેન્ટ હતું. નર્વસનેસ પણ હતી. તેના ડ્રાઇવિંગ સીન પર લોકો ઘણો પ્રેમ વરસાવી રહ્યાં છે. તે કહે છે કે, એક્ટર તરીકે ડાયલોગ વગર ઇમ્પેક્ટ કરવી એ ઘણી મોટી બાબત છે. હમ કો ડ્રાઇવિંગ શીખા દો એવા મેસેજ આવે છે. અત્યારે ઘણું સારું લાગે છે. ઘણી ફની કોમેન્ટ્સ આવે છે. લોકોને જે કોમેન્ટ કરવી હોય એ કરી શકે છે. નેગેટિવ કોમેન્ટ હોય તો પણ વેલકમ છે. પોતાના રોલ અને ડ્રાઇવિંગ સીન વિશે તેણે વધુમાં કહ્યું કે, મને પહેલેથી જાણ હતી કે પર્ફોર્મન્સ બેઝ કેરેક્ટર છે. મારો ડ્રાઇવિંગનો સીન હવે બહુ વાયરલ થયો છે. એ અંગે તેમણે પહેલેથી જ પૂછી લીધું હતું કે તમને ડ્રાઇવિંગ આવડે છે કે કેમ? મેં હા કહ્યું હતું. રણવીરે બૂમ પાડીને કહ્યું લેટ્સ ગો હિરવ....હિરવે રણવીર સિંહનો એક કિસ્સો પણ શેર કર્યો. તેણે કહ્યું કે, રણવીર સિંહ બધાને સરખા લેવલે રાખે છે. કોઇ નાનો મોટો, સિનીયર-જુનિયર એવું નથી રાખતા. તે બહુ જ ગ્રાઉન્ડેડ અને હંબલ છે. એ ધ્યાન રાખે છે કે બધા એક્ટર સેમ લેવલ ફિલ કરે. મેં સવારે એમને કહ્યું હતું કે મારું નામ હિરવ મહેતા છે અને તમારી સાથે કામ કરવું એ મારા માટે વન્ડરફૂલ ફિલિંગ છે. 'રાત્રે અમારો સાથે સીન હતો. મારો ક્લોઝ અપ સીન આવ્યો ત્યારે કેમેરા પાછળથી એમણે બૂમ મારી, લેટ્સ ગો હિરવ. લેટ્સ ડુ ઇટ. એક સુપરસ્ટાર મારૂં નામ યાદ રાખે, રિસ્પેક્ટ આપે. એ ઘણો સારો અનુભવ હતો. આ બધા એક્ટરને મળ્યો એ એક્ટિંગના માસ્ટર ક્લાસ જેવું રહ્યું. હું ઘણું શીખ્યો.' અક્ષય ખન્ના, સંજય દત્ત અને આદિત્ય ધરના સ્વભાવ વિશે હિરવનું ઓબ્ઝર્વેશન કંઇક આવું છે. તેના મતે, અક્ષય ખન્ના પોતાના ઝોનમાં વધારે રહે છે. એ વધુ વાત નથી કરતાં પણ હાય હલો કરવા જાઓ તો ઘણો સારો રિસ્પોન્સ આપે છે. એ કામમાં ઘણા ફોકસ રહે છે. સંજય દત્ત ઘણા ઇન્ટેન્સ દેખાય છે પણ એમની સાથે વાત કરો ત્યારે તે નમ્રતાથી વાત કરે છે. આદિત્ય ધર સેટ પર બધાને સ્માઇલ અને હંબલ નેચર સાથે વેલકમ કરે છે. તેઓ એક્ટર્સને ઘણા કમ્ફર્ટેબલ રાખે છે. સ્ક્રીપ્ટ વાંચીને કાચ સામે ઊભો રહી ગયોધૂરંધરની સ્ક્રીપ્ટ વાંચ્યા બાદ તેણે વેનિટી વેનમાં જ કાચ સામે ઊભા રહીને પ્રેક્ટિસની શરૂઆત કરી દીધી હતી. હિરવ કહે છે કે,જ્યારે અમારી પાસે સીનની સ્ક્રિપ્ટ આવે છે ત્યારે તે વાંચીને તરત જ મનમાં તેની તૈયારી શરૂ થઇ જાય છે. વેનિટીમાં જ મિરર આગળ મારી પ્રેક્ટિસ શરૂ થઇ ગઇ હતી. જેથી હું કેમેરા સામે જઉં તો ડિરેક્ટરને જે જોઇએ એ આપી શકું. બધું સમયસર થઇ જાય. 'મારું કેરેક્ટર ઇન્ટેન્સ હતું. ફિલ્મમાં હું સુસાઇડ બોંબર હતો. એનું માઇન્ડ સેટ શું હોય છે એ બધાને ખબર છે કે હું ખુદ તો મરીશ પણ કોઇને લઇને જઇશ. આદિત્ય ધરે બહુ સારી બ્રીફ આપી હતી જેથી એક જ ટેકમાં મોટા ભાગના સીન ઓકે થઇ ગયા.' પાકિસ્તાનથી મેસેજ આવે છેહિરવની એક્ટિંગના ફક્ત ભારત જ નહીં, પાકિસ્તાનમાં પણ વખાણ થાય છે અને તેને મેસેજ આવે છે કે તમે એક્ટિંગ ઘણી સારી કરી છે, એક્સપ્રેશન સારા આપ્યા છે. અમને પણ ડ્રાઇવિંગ શીખવાડો, અમને પણ ભવિષ્યમાં કામમાં આવશે. તમે પ્લીઝ ડ્રાઇવિંગ સ્કૂલ શરૂ કરી દો. હિરવ આવા મેસેજ વાંચી તો લે છે પણ તેનો રિપ્લાય નથી આપતો. ફિલ્મમાં કોઇ પ્રોપેગેન્ડા નથીઃ હિરવતે કહે છે કે, મને 95% પ્રેમ મળે છે તો 1% નફરત પણ મળે છે. 1 % લોકો ખરાબ બોલવાના જ છે. આદિત્ય ધરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે આ ફિલ્મ કોઇ દેશ, લોકોની વિરૂદ્ધમાં નથી પણ ત્રાસવાદની વિરૂદ્ધમાં છે. લોકોએ એ જાણવું જરૂરી છે કે ભારતમાં કેવી રીતે આતંકવાદી હુમલા થયા છે, કોણે કર્યાં છે. ભારત સાથે કેટલું ખરાબ થયું છે. મને આ ફિલ્મમાં પ્રોપેગેન્ડા જેવી કોઇ બાબત નથી લાગતી. 'મને 100% ખાતરી હતી કે આ મૂવી મેસિવ હિટ જશે કારણ કે આદિત્ય ધરે એવું ડિરેક્શન આપ્યું હતું. 2 વર્ષથી ફિલ્મ બનાવતા હતા. જે રીતે એમણે ફિલ્મ માટે મહેનત કરી હતી તે જોતાં મને ખબર હતી કે આ ફિલ્મ ઘણી મોટી ઇમ્પેક્ટ કરશે.' ચાઇલ્ડ આર્ટિસ્ટથી મોડેલિંગ સુધીની સફરતેણે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે બૂમરની એડમાં અને એક સિરીયલના 2-3 એપિસોડમાં કામ કર્યું હતું. તેણે બૂમર, આદિત્ય બિરલા અને એક એપ માટે મોડેલિંગ પણ કર્યું છે. કોરોના પહેલાં સોની ટીવીની લોંગેસ્ટ રનિંગ સિરિયલ મેરે સાંઇમાં કામ કર્યું હતું. કોવિડ સમયે એક્ટિંગ સાવ બંધ કરી દીધી હતી. જેના પછી 3 વર્ષ ફાયનાન્સ કર્યું. એ પછી ઓડિશન આપતા આપતા તેને બડે અચ્છે લગતે હૈ સિઝન-4માં કામ કરવાનો મોકો મળ્યો. એ દરમિયાન તેને ધૂરંધર મૂવીની ઓફર આવી હતી. સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધી ગયાહિરવે ઉમેર્યું કે, ધૂરંધર બાદ મારી ફેમિલીને મારા પર ગર્વ છે. એમને બધાના ફોન આવે કે તમારા દીકરાને જોયો અને તેમના મોં પર સ્માઇલ આવે છે. એ બેસ્ટ ફિલિંગ છે. ક્યાંય પણ જઉં ત્યારે લોકો મળવા આવે અને કહે તમે બહુ જ જોરદાર કામ કર્યું. ઘણો પ્રેમ મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર 29 હજાર ફોલોઅર હતા જે 15 દિવસમાં વધીને 1 લાખ થઇ ગયા. હિરવે મસલ મહેતા નામનું એક ઇન્સ્ટાગ્રામ પેજ પણ બનાવ્યું છે. જેમાં તે ઓનલાઇન ટ્રાન્સફોર્મેશન કોચિંગ આપે છે. તેણે કહ્યું કે, મને સતત લાગતું કે હું એક્ટિંગ માટે બન્યો છું, લોકોને એન્ટરટેન કરવા માટે બન્યો છું. જેથી મેં ફરી ઓડિશન આપવાનું શરૂ કર્યું. એ સાથે જ મારા સોશિયલ મીડિયા પર પણ ફોલોઅર્સ વધવા લાગ્યા. મસલ મહેતા નામના મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર મે 1500થી વધુ ક્લાયન્ટ્સનું ટ્રાન્સફર્મ કર્યું છે. આ બધા સાથોસાથ ઓડિશન પણ આપવાનું ચાલુ હતું. એક્ટિંગ અને સોશિયલ મીડિયા સાથે ચાલતું હતું. 9 વર્ષમાં બોડી ટ્રાન્સફોર્મેશન કર્યુંતે જ્યારે 16 વર્ષનો હતો ત્યારથી જિમમાં વર્ક આઉટ કરે છે. તેના પપ્પા તેને પહેલીવાર જિમમાં લઇ ગયા હતા. આના વિશે તે કહે છે કે, ફિટનેસની વાત કરું તો 9 વર્ષમાં મારી બોડી સારી થતી ગઇ. લોકો મને પૂછવા લાગ્યા કે યાર તમે આ કેવી રીતે કર્યું? તમે તો વેજીટેરિયન છો. હું બધાને સમજાવતો હતો. મને થયું કે આમ થોડા લોકોને મદદ કરું છું તો સોશિયલ મીડિયા પર હું હજારો કરોડો લોકોને મદદ કરી શકીશ. એ પછી મેં મસલ મહેતા પેજની શરૂઆત કરી હતી. તળાજા જઇને ઘર જોવાની ઇચ્છાહિરવનો જન્મ અને ઉછેર મુંબઇમાં થયો છે. તે બોરીવલી વેસ્ટમાં રહે છે પણ તેના દાદા અને પિતા તળાજાના વતની છે. હિરવ જ્યારે નાનો હતો ત્યારે તળાજા બહુ જતો. પોતાના વતન વિશે વાત કરતા તે કહે છે કે, તળાજામાં મારા દાદાને બિઝનેસ હતો. અમારો એક બંગલો હતો. નાનપણમાં ત્યાં જતાં ત્યારે ઘણી મસ્તી કરતાં પણ હવે તો કામમાં બીઝી થઇ ગયા એટલે ત્યાં જવાનું ઓછું થઇ ગયું છે. તેના પરિવારનો એક બંગલો સુરતમાં પણ હતો. જે હવે વેચી નાખ્યો છે. હિરવે કહ્યું, એક વર્ષ પહેલાં હું સુરત આવ્યો હતો. અમારો બંગલો ત્યાં હતો પણ મારા પપ્પા અને મોટા પપ્પા સહિત બધા મુંબઇ આવી ગયા તો એ બંગલાની દેખરેખ કરવામાં મુશ્કેલી આવતી હતી. જેથી એ વેચી નાખ્યો. હવે અમે એક ફ્લેટ લીધો છે. જ્યાં મારી બહેન અને દાદા-દાદી આવે છે. એ વેકેશન હોમ જેવું છે. ફિલ્મોની ઓફર મળવા લાગીહિરવે ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટમાં બેચલર કર્યું છે. MBA ઇન ફાયનાન્સ કર્યું છે. કોરોના સમયે અને તેના પછી તેણે સ્ટોક માર્કેટમાં કામ કર્યું હતું. ધૂરંધરની સફળતા બાદ હિરવને અન્ય કેટલીક ફિલ્મોની પણ ઓફર મળી છે. તેણે કહ્યું કે, અત્યારે કેટલીક મૂવી માટે વાત થઇ રહી છે. હજુ કંઇ કન્ફર્મ નથી. જેથી હું વધારે વાત નહીં કરી શકું પણ ભગવાન સાથે છે તો આગળ સારું જ થશે. હિરવને બોલિવૂડ અને TVમાં કામ કરવાના ઘણો તફાવત લાગે છે. તે કહે છે કે, બોલિવૂડના સેટ પર જાઓ ત્યારે ખબર પડે કે આ સ્કેલ તો ક્યારેય જોયો જ નહોતો. એનર્જી ઘણી અલગ હોય છે. બોલિવૂડમાં બહુ જ ડિટેલમાં કામ થાય. ટેલિવિઝનમાં રોજેરોજ એપિસોડ જતાં હોય એટલે ડિટેલિંગ મિસ થતી હોય છે. પાકિસ્તાનથી લઇને ભારત સુધી જેના ડ્રાઇવિંગ અને એક્ટિંગના વખાણ થઇ રહ્યા છે તેવો આ ગુજરાતી યુવાન આગામી સમયમાં બોલિવૂડની બીજી મોટી ફિલ્મોમાં જોવા મળે તો નવાઇ ન પામતા.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 6:00 am

હેવન સ્પામાં દરોડો:સ્પા માલિકે નોર્થ ઇસ્ટની 4 યુવતી પાસે વેરિફેકેશન કર્યા વિના કામ કરાવતાં ગુનો

શહેરની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (A.H.T.U.) શાખાએ દંતેશ્વર રોડ પર આવેલા ‘હેવન સ્પા’ માં દરોડો પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનરના આદેશ અનુસાર મસાજ પાર્લર અને સ્પામાં કામ કરતા કર્મચારીઓની માહિતી પોલીસ સ્ટેશનમાં આપવી ફરજિયાત છે. પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સ્પા સંચાલકે મસાજ માટે રાખેલી નોર્થ ઈસ્ટની ચાર યુવતીઓની નિયમ મુજબ કોઈ પણ નોંધણી કે પોલીસ વેરિફિકેશન કરાવ્યું ન હતું. આ મામલે એ.એચ.ટી.યુ. દ્વારા મકરપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સ્પા માલિક જયદીપ બીપીનભાઇ પટેલ હાલ ફરાર હોવાથી મકરપુરા પોલીસે તેની શોધખોળ અને તપાસ તેજ કરી છે. સ્પાની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ ડામવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીયોની સૂચના હેઠળ આ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી પી.આઈ. કે.જી. લીમ્બાચીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. નોંધનીય છે કે, શહેરની અનેક કોમર્શિયલ બિલ્ડિંગો અને શોપિંગ સેન્ટરોમાં મસાજ પાર્લરો ખૂલી ગયા છે. મસાજ પાર્લરમાં અનૈતિક પ્રવુતિઓ થાય છેશહેરના રહેણાંક તેમજ કોમર્શિયલ બિલ્ડિંગોમાં,મોલ શોપિંગ સેન્ટરોમાં ઠેર ઠેર મસાજ પાર્લર અને સ્પા ખુલ્યા છે. જેની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન અને દેહ વ્યાપાર સહિત અન્ય કૃત્યો થતાં હોય છે. આવા સ્થળો પર નોર્થ ઇસ્ટની યુવતીઓને થાઇલેન્ડની દર્શાવી ગ્રાહકો પાસેથી વધુ રૂપિયા પડાવવામાં આવતા હોય છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:55 am

ચૂંટણી પંચની માંગ:વડોદરા પાલિકા, ન.પાલિકાની ચૂંટણીમાં 87 મોટી,4 મિનિ બસોની માગણી કરાઇ

વડોદરા કોર્પોરેશન અને નગરપાલિકા, જિલ્લા પંચાયતની ચૂંટણીઓની કામગીરી માટે ચૂંટણી પંચ દ્વારા 87 મોટી બસો અને 4 મીની એસટી બસોની માગણી કરવામાં આવી છે. આ બસોનો ઉપયોગ મતપેટીઓની આવનજાવન સહિતની કામગીરી કરવા માટે કરાતો હોય છે. પાલિકાની ચૂંટણી માટે વોર્ડ નં.1થી 3 માટે 18-18 બસોનો ધમધમાટ હશે. આ બસો 25મી એપ્રિલ અને 26મી એપ્રિલ એમ બે દિવસ માટે માગવામાં આવી છે. વડોદરા ગ્રામ્ય માટે 25 મોટી એસટી બસો જિલ્લા પંચાયતની ચૂટણી માટે કાર્યરત કરાશે. સાવલી, ડભોઇ અને વાઘોડિયા અને પાદરા નગરપાલિકાની ચૂંટણીમાં પણ બેલેટ બોક્સની અવરજવર માટે બસોની ફાળવણી કરાશે. સાવલીમાં 24 મોટી બસો અને 4 મીની બસોની તથા ડભોઇ નગર પાલિકાની ચૂંટણીમાં 20 મોટી બસોની પણ માગણી કરવામાં આવી છે. એસટી અધિકારીના જણાવ્યા મુજબ અન્ય નગરપાલિકાઓમાં કેટલી બસો ફાળવાશે તે હજી સ્પષ્ટ થઇ શક્યું નથી. ભાડું એડવાન્સ ભરવું પડશે, અગાઉના લાખો રૂપિયા બાકીચૂંટણીની માટે જીએસઆરટીસીની બસ સર્વિસ માટે બસોના ભાડા પણ નક્કી કરાયા છે. જીએસટી સાથે મીની બસનું 12 કલાકનું ભાડુ રૂ.15,652 અને મોટી બસનું ભાડુ 18,223 નક્કી કરવામાં આવ્યું છે. રૂપિયા નિયમ મુજબ એડવાન્સમાં ભરવા પડશે. 2012 અગાઉના સરકારી કાર્યક્રમો માટે ભાડે લીધેલી બસોનું લાખો રૂપિયાનું ભાડુ બાકી છે. તેના ચૂકવણા માટે તંત્ર દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યાં છે. 37% બસો સેવામાં, રૂટ કેન્સલ થતાં મુસાફરો અટવાશેએસટી પાસે 91 બસોની માગ ચૂંટણીપંચે કરી છે. જો બસોની ફાળવણી કરાય તો રૂટ કેન્સલ કરવા પડશે. જેની અસર મુસાફરોને પડશે. વડોદરા પાસે 246 ડીઝલ બસો છે. જો 91 બસોની ફાળવણી થાય તો લગભગ 37 ટકા બસો ચૂંટણીની સરકારી સેવામાં હશે. વડોદરા એસટીના લોકલ શિડ્યુઅલ 1977 અને એક્સપ્રેસ શિડ્યુઅલ 282 છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:53 am

ચૂંટણીનું સમીકરણ:કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા બાદ જિલ્લા પંચાયતની ચાર બેઠકો બિનહરીફ થઈ

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો પર ભાજપના 40 ઉમેદવારો બિનહરીફ થયા છે. જેમાં જિલ્લા પંચાયતની ચોરંદા, રણોલી, જરોદ અને ગુતાલ બેઠકોનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે, વડોદરા જિલ્લા પંચાયતની રણોલી બેઠક પરથી વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજુભાઈ ઠાકોરે પોતાની પત્ની ગીતાબેનનું ફોર્મ પરત ખેંચાવી લેતા ભાજપના ઉમેદવાર કૈરવીબા વાઘેલા બિનહરીફ થયા હતાં. આ ઘટના બાદ વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજુભાઈ ઠાકોર અને તેમના પત્ની ગીતાબેનને પક્ષ સાથે ગદ્દારી કરવા બદલ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સદસ્ય સભ્ય પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજુ ઠાકોરને સસ્પેન્ડ કરી દેવાયા બાદ વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તાત્કાલિક અસરથી એડવોકેટ જય હસમુખભાઈ ભટ્ટની નિમણુંક કરવામાં આવી છે. 15 એપ્રિલના રોજ ઉમેદવારો પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકે તેની અંતિમ તારીખ હતી. જેમાં કોઠી કચેરી ખાતે સવારથી જ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ દરમિયાન કોંગ્રેસ તરફથી કયા ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચવા માટે આવી રહ્યાં છે, તે જોવા માટે પણ લોકો પહોચ્યાં હતાં. ત્યારે રણોલી બેઠક પરથી કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગીતાબેન ઠાકોર પોતાનું ફોર્મ પરત ખેંચી લીધા બાદ તુરંત પતિ સાથે કારમાં બેસીને જતા રહ્યાં હતાં. ત્યારબાદ જિલ્લા પંચાયતની સયાજીપુરા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બળવંતસિંહ મહિળાએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું. આ ઉપરાંત ભાજપના ઉમેદવારોમાં કરજણની ચોરંદા બેઠક પરથી જ્યોત્સનાબેન રબારી, વાઘોડિયાની જરોદ બેઠક પરથી નવીનભાઈ વસાવા અને ગુલાત બેઠક પરથી વિશાલકુમાર વસાવા બિનહરીફ થયા હતાં. મહત્વનું છે કે, 15 એપ્રિલના રોજ કુલ 94 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં ભાજપના 40 ઉમેદવારો બિનહરીફ તાલુકા પંચાયતમાં 19 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ નગર પાલિકાના 7 વોર્ડમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ જિલ્લા પંચાયતમાં 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:51 am

CBSEનું પરિણામ:સીબીએસઈ ધો.10નું 95 ટકા પરિણામ 30થી વધુ સ્કૂલોએ 100 ટકા મેળવ્યા

વડોદરા શહેરમાં સીબીએસઇનું ધોરણ 10નું 95 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 30થી વધારે સ્કૂલોનું પરિણામ 100 ટકા જાહેર થયું હતું. જ્યારે શહેરમાં 57 જેટલી સીબીએસઇ સ્કૂલો આવેલી છે. સીબીએસઇ બોર્ડ મેરિટ લિસ્ટ જાહેર કરતું નથી. તેમજ પરિણામમાં કોઈ ટોપર પણ જાહેર કરવામાં આવતાં નથી. જોકે સ્કૂલો પોતાના સ્તરે ટોપર્સ જાહેર કરે છે. સીબીએસઇ ધો.10માં સત્ર-1ની પરીક્ષાઓમાં પાસ થવા માટે, થિયરી અને ઇન્ટરનલ એસેસમેન્ટ બંનેમાં 33 ટકા ગુણ મેળવવા જરૂરી છે. આ વર્ષે બોર્ડે ધોરણ 10ની પરીક્ષા ટુ બોર્ડ સિસ્ટમ હેઠળ યોજી છે. પ્રથમ બોર્ડ પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 11 માર્ચના રોજ યોજાઈ હતી. જ્યારે બીજી બોર્ડ પરીક્ષા વૈકલ્પિક છે જે 15 મેથી 1 જૂન 2026 સુધી યોજાશે. ભાસ્કર ઇનસાઇડ બીજી બોર્ડ પરીક્ષાનો વૈકલ્પિક આવતા પરિણામ વહેલું જાહેર થયુંસીબીએસઇ બોર્ડ પરીક્ષાનું પરિણામ મે મહિનામાં જાહેર કરવામાં આવતું હોય છે. જોકે સીબીએસઇ બોર્ડ દ્વારા 15 મેથી બીજી બોર્ડ પરીક્ષાનો વૈકલ્પિક આપવામાં આવ્યો છે. જેના પગલે પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર કરી દેવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓને બીજી પરીક્ષા માટે પૂરતી તૈયારી કરવાની તક મળે. બંને પરીક્ષામાંથી વિદ્યાર્થીનું જે પરિણામ શ્રેષ્ઠ હશે તે પરિણામ ગણાશેવિદ્યાર્થીઓ બંને વાર બોર્ડની પરીક્ષામાં સામેલ થઇ શકશે. બંને પરીક્ષામાંથી વિદ્યાર્થીનું જે પરિણામ શ્રેષ્ઠ હશે તે પરિણામ ગણાશે. એટલે કે જો બીજી વાર પરીક્ષા આપવા પર માર્ક્સ ઘટી જશે, તો પ્રથમ પરીક્ષાના માર્ક્સ જ અંતિમ ગણાશે. બંને પરીક્ષાઓ સંપૂર્ણ અભ્યાસક્રમ પર આધારિત હશે. બંને પરીક્ષાનું ફોર્મેટ એક સરખું જ હશે. બંને પરીક્ષાઓ માટે રજીસ્ટ્રેશન એક જ વાર કરવું પડશે. જોકે બે વાર પરીક્ષા આપવાનો વિકલ્પ પસંદ કરવા પર ફી એકસાથે લેવામાં આવશે. ધોરણ -10 CBSEના ટોપર્સ

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:49 am

કરુણાંતિકા સર્જાઈ:આણંદ જતા વૃદ્ધને એક્સપ્રેસ-વે પર ગભરામણ થઇ, છાંયડે બેસવા રેલિંગ કૂદ્યાં, ખાડામાં પડ્યા બાદ મોત

સમા રહેતા વૃદ્ધ દોહિત્રના કેવાયસી માટે સોમવારે બપોરે બાઇક લઇને આણંદ જઈ રહ્યા હતા. તે ભૂલથી એક્સપ્રેસ-વે પર ચઢી ગયા બાદ ટોલ નાકા સુધી પહોંચતા તેઓને ગભરામણ થઇ હતી. તેમણે ઝાડ નીચે બેસવા બાઈક પાર્ક કરીને હાઈવેની રેલિંગ કુદવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તે 15થી 20 ફૂટ ઉંડા ખાડામાં પડી ગયા હતા. સાંજના સમયે હાઈવે પોલીસને તેમનું બાઈક મળી આવ્યું હતું અને બાદમાં વૃદ્ધ ખાડામાંથી મળી આવ્યા હતા. જેથી પરિવારને જાણ કરવામાં આવી હતી. વૃદ્ધને મૃત જાહેર કરાતાં પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ ખસેડવામાં આવ્યો હતો. હૃદય રોગના હુમલાને કારણે વૃદ્ધનું મોત થયું હોવાનું તપાસમાં આવ્યું છે. પંચામૃત રેસિડેન્સીમાં રહેતા હિતેન્દ્ર શાહ સયાજી હૉસ્પિટલમાંથી સ્ટોર કિપર તરીકે નિવૃત થયા હતા. દીકરી આણંદ ખાતે રહે છે. તેમના દોહિત્રના ગાર્ડિયનમાં તેઓનું નામ હોવાથી તેઓ દોહિત્રનું કેવાયસી કરાવવા માટે સોમાવારે આણંદ બાઈક લઈને જઈ રહ્યા હતા. બપોર સુધી તેઓ આણંદ ન પહોંચતા તેમની દીકરીએ અવારનવાર ફોન કર્યા હોવા છતા તેઓએ ફોન ઉપાડ્યા નહોતા. સાંજે 5 વાગ્યાની આસપાસ તેમની દીકરીને હાઈવે પોલીસ દ્વારા ફોન કરવામાં આવ્યો હતો કે, વૃદ્ધ ખાડામાં પડી ગયા છે અને તેઓનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે. જેથી તેમનો પરીવાર તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. મંજુસર પોલીસે તપાસ શરુ કરી છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:39 am

BCA વિવાદ:બીસીએ કેસમાં હાઈકોર્ટની સુનાવણી 22 એપ્રિલે, વર્તમાન કમિટી જ કાર્યકારી રહેશે

બીસીએની ચૂંટણી મુદ્દે ચાલતા કેસમાં હાઈકોર્ટે વચગાળાની વ્યવસ્થા યથાવત રાખી છે. સિંગલ જજના ચુકાદાને પડકારતી અપીલ પર ડબલ જજની બેંચ સમક્ષ દલીલોના અંતે કોર્ટે વધુ સુનાવણી 22 એપ્રિલ પર મુલતવી કરી છે. અરજદારો પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિની રજૂઆતો બાદ અગાઉ સિંગલ જજે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલાને ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવ્યા હતા. ચૂંટણીનું પરિણામ જાહેર કરવા પર પણ હાલ રોક યથાવત છે. 22 એપ્રિલે થનારી સુનાવણીમાં નવો વળાંક આવવાની શક્યતા છે. બંને જૂથની બે મીટિંગ, ફરી એપેક્ષનું આયોજન કરાય તો કન્ટેમ્પ્ટ માટે આગળ વધવાની વિચારણારોયલ-સત્યમેવ જયતે, રિવાઇવલ ગ્રુપે બે દિવસ અગાઉ બેઠકો કરી હતી. તેઓ કેસમાં આગળ કેવી રીતે વધવું તેના પ્લાનિંગ કરી રહ્યા છે. બંને જૂથ નિર્વિવાદિત પોસ્ટની ગણતરી કરવા સહમત થયા છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:37 am

જનતાએ વ્યક્ત કર્યો આક્રોશ:વોર્ડ-5માં ભાજપના ઉમેદવાર તેજલ વ્યાસની ફેરણીમાં મહિલાઓનો આક્રોશ, 20 વર્ષોથી પાણીની સમસ્યા છે

શહેરમાં વિકાસની ગુલબાંગો વચ્ચે ચૂંટણી પ્રચાર માટે નીકળતા ભાજપના ઉમેદવારોને જનતાના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. વોર્ડ નંબર 5માં ભાજપના પૂર્વ કાઉન્સિલર અને ઉમેદવાર તેજલ વ્યાસ જ્યારે આજવા રોડ સ્થિત આનંદ મંગલ સોસાયટીમાં વોટ માંગવા પહોંચ્યા ત્યારે સ્થાનિક મહિલાઓએ તેમને ઘેરી લીધા હતા અને વર્ષો જૂની સમસ્યાઓનો પાણીની સમસ્યા યાદ અપવતા જોવાજેવી થઈ હતી. આજવા રોડની આનંદ મંગલ સોસાયટીની મહિલા નેહલબેને પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, અમે છેલ્લા 20 વર્ષથી પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. ક્યારેક તો નળમાં માત્ર ટપકું-ટપકું પાણી આવે છે. સોસાયટીમાં અનેક સિનિયર સિટીઝનો રહે છે, જેમને બીજાના ઘરેથી પાણી ભરીને લાવવું પડે છે. આટલા વર્ષોથી અમારી રજૂઆત સાંભળવા કોઈ આવ્યું નથી. ચૂંટણી ટાણે જ પૂર્વ કાઉન્સિલર સામે થયેલો આ વિરોધ ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે. વોર્ડ 5માં પાણી જેવી સમસ્યાઓ લાંબા સમયથી વણઉકેલી હોવાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેજલ વ્યાસ અને તેમની ટીમ માટે આ વખતે મતદારોને રીઝવવા લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ શકે છે. નોંધનિય છે કે વિવિધ વૉર્ડમાં વિરોધની શરૂઆત થઇ છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:35 am

સત્તા માટે ભાજપ-કોંગ્રેસના સોગઠા:મતદારોના મતના સોદાગરો

પાલિકાની ચૂંટણી પહેલા ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે વોર્ડ-2ના કોંગ્રેસી ઉમેદવારનો ફોર્મ પરત ખેંચી લેવાનો હાઇવોલ્ટેજ ડ્રામા સમા મામલતદાર કચેરી ખાતે થયો હતો. કોંગ્રેસી ઉમેદવાર ભૂમી પ્રજાપતિ મંગળવારે રાતથી ગાયબ હતા. ભૂમી પ્રજાપતિ ફોર્મ ખેંચવા આવતા ભારે હોબાળો થયો હતો. તે તેમના પતિ અને સાસુ સાથે બાઇક પર 2.25 વાગ્યે મોઢું ઢાંકીને પહોંચ્યા હતા. આગેવાનો-કાર્યકરોએ તેમના ફોર્મ સાથે ડોકયુમેન્ટ ઝૂટવી ફાડી નાખ્યા હતા. પોલીસબળ ઓછું પડયું હતું જેથી વધુ પોલીસકર્મી બોલાવાયા હતા. ભારે હોબાળા બાદ પોલીસે કોંગ્રેસ પ્રમુખ, કાર્યકરો-ઉમેદવારોની અટક કરી હતી. ભૂમી પ્રજાપતિ મામલતદાર કચેરી પહોંચે તે પહેલા જ ભાજપના ઉમેદવાર ભાણજી પટેલ તથા પૂર્વ કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત મામલતદાર કચેરી પહોંચી ગયા હતા. દલસુખ પ્રજાપતિના પુત્ર વિષ્ણુને બિનહરીફ કરવા કનુ પ્રજાપતિએ ફોર્મ ખેચ્યું, કોંગ્રેસીઓના ટપલીદાવથી ભાગ્યાં, કારના કાચ તોડ્યાં પ્રજાનો રોષ પારખી ગયેલા ભાજપે બેઠકો બિનફરીફ થાય તેવા કાવાદાવા શરૂ કર્યા હતા. ત્યારે કોંગ્રેસના બે ઉમેદવાર વોર્ડ-11ના કનુ પ્રજાપતિ અને વોર્ડ-2ના ભૂમિ પ્રજાપતિએ ઉમેદવારી પત્ર પાછું ખેંચી લેતા દલસુખ પ્રજાપતિના પુત્ર અને ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર ઉર્ફે વિષ્ણુ પ્રજાપતિ અને વોર્ડ-2ના ધ્રુવિતા બ્રહ્મભટ્ટ બિનહરીફ થયાં છે. હવે ફોર્મ પાછા ખેંચાતા વૉર્ડ-2 અને 11માં મતદારો હવે 3-3 જ વોટ આપી શકશે. સમા કચેરી ખાતે કોંગ્રેસે ભારે હોબાળો મચાવતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, કારના કાચ પણ તુટ્યાં હતાં. કોંગ્રેસી ઉમેદવાર કનુ પ્રજાપતિ ફોર્મ પાછું ખેંચવા દબાણ આવતું હોવાની ફરિયાદ કરી સોમવારે મોડી રાતથી ગાયબ હતા. બુધવારે સવારે અકોટા મામલતદાર કચેરીએ ફોર્મ પાછું ખેંચવા પોલીસ સાથે ગયા હતા. જ્યાં શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો દોડી જઇ તેમનો ટપલીદાવ કર્યો હતો. દલસુખ પ્રજાપતિના પુત્ર વિષ્ણુને બિનહરીફ કરાવવા માટે કનુ પ્રજાપતિએ ફોર્મ ખેચવાનું તરકટ કરતાં હોબાળો મચ્યો હતો. પોલીસે તેમને કારમાં બેસાડ્યા બાદ ભાગવા જતા મુખ્ય માર્ગ પર કનુ પ્રજાપતિની કારના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. પ્રદેશે લીલી ઝંડી આપતાં ડો. વિજય શાહે મિશન પાર પાડ્યું: સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજ તરફથી ભૂમિ પ્રજાપતિએ પાલિકાની વોર્ડ-2માં કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરી હતી. ડોક્ટર વિજય શાહ દ્વારા સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. પરિવારના સંપર્ક બાદ ભૂમિ પ્રજાપતિ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્ર પાછું ખેંચવા તૈયાર થયા હતા. કેયુર રોકડિયાએ ભૂમિના સસરા સાથે વાત કરી: સૂત્રો મુજબ ભૂમિ પ્રજાપતિના સસરા ભાજપના શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ છે. સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ તેમની સાથે ફોર્મ પરત ખેંચવા ચર્ચા કરી હતી. 3 દિવસથી છટકું ગોઠવાયું હતું: કનુ પ્રજાપતિનું ફોર્મ પાછુ ખેંચાવવા ભાજપ 3 દિવસથી પ્રયાસ કરતો હતો. ભાજપના નેતાઓ દલસુખ પ્રજાપતિ સાથે બેઠકો કરતા હતાં. કનુ પ્રજાપતિના પુત્ર-પુત્રવધુએ આપઘાતની ચીમકી આપી હતી: કોંગ્રેસના વડોદરા પ્રભારી બિમલ શાહે જણાવ્યું કે, તેઓના પુત્ર અને પુત્ર વધુ પર એટલું દબાણ હતું કે આપઘાત કરી લેશે તેમ જણાતાં કનુ પ્રજાપતિને પ્રદેશથી લાવી અમિતનગર છોડી દેવાયા હતા. કોંગ્રેસની ઉમેદવાર ભૂમિ પ્રજાપતિને ભાજપ-તંત્રનું પીઠબળ અધિકારીએ જ ફોર્મ ભરીને સહી કરાવી, પોલીસે પહેરો ભર્યો ભાજપના પૂર્વ કાઉન્સિલર ઓફિસમાં કેવી રીતે હતા? શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ કહ્યું કે, જ્યારે ભૂમિ પ્રજાપતિ રિટર્નિંગ ઓફિસરની કચેરીએ પહોંચી ત્યારે 2 પૂર્વ કાઉન્સિલર ત્યાં હતા. ભાજપના નેતાઓ અંદર હોય અને કોંગ્રેસના નેતાઓને અટકાવ્યા હતા. ફોર્મ પરત ખેંચવા આવેલા ઉમેદવાર અને ટેકેદારો લીફટમાં ફસાઇ ગયા: હોબાળા વચ્ચે ભૂમી પ્રજાપતિ તેમના પતિ, સાસુ સમા મામલતદાર કચેરીની લિફ્ટમાં ગયા હતા. ત્રીજા માળે હોબાળાના કારણે લીફટ અટકી હતી. 15 મીનીટ બાદ ફાયરની ટીમ પહોંચી હતી. મેં મારી જાતે ફોર્મ પાછું ખેંચ્યું છે: કોંગ્રેસમાંથી ફોર્મ પાછુ ખેંચનાર ભૂમી પ્રજાપતિએ કહ્યું કે, મેં મારી જાતે ફોર્મ પાછું ખેંચ્યું છે. બળજબળી ન હતી. સમાજના વડીલોએ કહ્યું કે, તારી ઉંમર નાની છે, આગળ કરીયર બને તેમ છે. બિનહરીફ થતાં મતદારોને હવે 3 જ મત આપવાના રહેશે મહાનગર પાલિકાની ચૂંટણીમાં જે વોર્ડમાં બેઠક બિનહરીફ થઈ છે. તે વોર્ડમાં મતદારોએ 4 ની જગ્યાએ 3 મત આપવાના રહેશે. જો બેઠક બિનહરીફ થઈ ન હોત તો 4 મત આપવાના હોત. — અનિલ ધામેલિયા, કલેક્ટર

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:31 am

વિજળીનું બિલ:જોરાવરનગર, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં ધોળા દિવસે લાઇટો ચાલુ

સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના તમામ રસ્તાઓ ઉપર એલઇડી લાઇટો ફિટ કરી છે. તેના રિપેરીંગની સાથે લાઇટો ચાલુ બંધ કરવા માટે સ્ટાફ પણ રાખવામાં આવ્યો છે. તેમ છતાં વઢવાણ રોડ, જોરાવરનગર, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં ધોળા દિવસે પણ લાઇટો ચાલુ હોય છે. સુરેન્દ્રનગર મનપા થયા બાદ લાઇટ વિભાગમાં સ્ટાફની ભરતી કરવામાં આવી છે. નવા વાહનોની સાથે એલઇડી લાઇટની ખરીદી કરીને શહેરમાં લાઇટો નાખવામાં આવી છે. પરંતુ તેમ છતાં અનેક વિસ્તારોમાં લાઇટો બંધ હોવાની ફરિયાદો આવી રહી છે. પરંતુ શહેરમાં ધોળા દિવસે લાઇટો ચાલુ રહેતી હોય છે.જેને બંધ કરવામાં આવતી નથી. આટલું જ નહી પરંતુ મનપાની ટીમ દ્વારા કયા કયા વિસ્તારોમાં આવી સમસ્યા છે તેની તપાસ કરવામાં આવે તો આ ફોલ્ટનો ઉકેલ આવી શકે તેમ છે. સ્વીચોમાં ફોલ્ટ થવાને આવી સમસ્યા સર્જાતી હોવાનું મનપાના લાઇટ વિભાગ દ્વારા જણાવવામાં આવે છે. મનપાને લાઇટના રૂ.100 કરોડ ભરવાના બાકી સુરેન્દ્રનગર મનપા એક તરફ વિજળીનું બિલ બચાવવા માટે સોલારનો ઉપયોગ કરી રહ્યું છે. તેમ છતાં પાલિકા હતી ત્યારનું રૂ.100 કરોડથી વધુનું વિજબીલ બાકી છે. ત્યારે એલએડી લાઇટનો લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં દિવસે લાઇટો બંધ કરવામાં ન આવતા મહિને 5 લાખથી વધુનું બિલ આવે છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

સોસાયટીના પ્રવેશદ્વાર અને મકાનો પર બેનરો લગાવાયા:રોડ નહીં તો વોટ નહીં : વેજલપુરની વિવેકાનંદ સો.નો ચૂંટણી બહિષ્કાર

લોકશાહીના મહાપર્વ સમાન આગામી ચૂંટણીઓનો માહોલ જામી રહ્યો છે. ત્યારે કાલોલ તાલુકાના વેજલપુર ગામે વિકાસના પોકળ દાવાઓની પોલ ખુલી છે. ગોધરા નજીક આવેલા વેજલપુરની વિવેકાનંદ સોસાયટીના રહીશોએ છેલ્લા 12 વર્ષથી પાકા રસ્તાના અભાવે ભોગવવી પડતી હાલાકીથી કંટાળીને આ વખતે ચૂંટણી બહિષ્કાર નો આક્રમક નિર્ણય લીધો છે.સોસાયટીના પ્રવેશદ્વાર અને મકાનો પર રોડ નહીં તો વોટ નહીંના બેનરો લગાવી દેવામાં આવતા રાજકીય આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. સોસાયટી બન્યાને વર્ષો વીતી ગયા હોવા છતાં આજદિન સુધી અહીં પાકો આર.સી.સી. રોડ બનાવવામાં આવ્યો નથી. દર ચોમાસામાં અહીં કાદવ- કીચડનું સામ્રાજ્ય સ્થપાય છે. જેના કારણે રહીશોને પોતાના ઘરની બહાર નીકળવું પણ દુષ્કર બની જાય છે.ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. 12,12 વર્ષથી માત્ર આશ્વાસનો મળતા હોવાથી હવે જનતાનો શિસ્તબદ્ધ રોષ ફાટી નીકળ્યો છે.આ મામલે જાગૃત નાગરિકો દ્વારા ગ્રામ પંચાયતથી લઈને જિલ્લા કલેક્ટર અને છેક ગાંધીનગર સુધી લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. પી.જી. પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદો કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી આર.સી.સી. રોડનું કામ પ્રત્યક્ષ રીતે શરૂ નહીં થાય, ત્યાં સુધી સોસાયટીનો એક પણ નાગરિક મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. ચૂંટણી ટાણે જ જનતાએ અપનાવેલા આ કડક વલણને પગલે હવે વહીવટી તંત્ર અને રાજકીય નેતાઓ આ સમસ્યાનું નિરાકરણ લાવે છે કે કેમ તે જોવું રહ્યું. રસ્તો નહીં બને તો એક પણ મત નહીં આપીએરસ્તાના અભાવે અમે નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર છીએ. ખાસ કરીને ચોમાસામાં વૃદ્ધો અને બાળકોની હાલત દયનીય બની જાય છે. કલેક્ટરથી લઈ ગાંધીનગર સુધી રજૂઆતો કરી છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.જો રસ્તો નહીં બને તો અમે એક પણ મત આપીશું નહીં અને સંપૂર્ણ ચૂંટણી બહિષ્કાર કરીશું. ગૌતમ સેવાની, સ્થાનિક રહીશ

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

ભાજપનો વિજય તિલક:ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ચિત્ર સ્પષ્ટ

પંચમહાલ જિલ્લા પંચાયતની 38 બેઠકોમાંથી 7 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. જિ.પં.ની 31 બેઠક પર 97 ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ ખેલાશે. જયારે 7 તાલુકા પંચાયતની 174 બેઠકોમાંથી ભાજપના 26 ઉમેદવાર બીનહરીફ જાહેર થતા 7 તાલુકાની 148 બેઠક પર 415 ઉમેદવારની સીધી ટક્કર જોવા મળશે. પંચમહાલ જિલ્લા પંચાયતની 38 બેઠકો અને 7 તાલુકા પંચાયતની 174 બેઠકો પર બુધવારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના દિવસ બાદ સ્થિતિ સ્પષ્ટ થતા ઉમેદવારો પ્રચારમાં લાગી થયા છે.પંચમહાલ જિલ્લા પંચાયત- 38 બેઠકોમાં 174 ફોર્મમાંથી 115 માન્ય રહ્યા હતા. જેમાં બુધવારે 11 ફોર્મ પરત ખેંચતા પંચમહાલ જિલ્લા પંચાયતની 7 બેઠકો બિનરીફ થઇ છે. જિલ્લા પંચાયતની 31 બેઠકો પર 97 ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ ખેલાશે.જેમાં ભાજપના 31, કોગ્રેસના 29, આપના 29, ભારતીય આદિવાસી પાર્ટીના 1 અને 6 અપક્ષો વચ્ચે જંગ થશે.જયારે જિલ્લા પંચાયતમાં ગોધરા તાલુકાની 2, શહેરા તાલુકાની 4 અને કાલોલ તાલુકાની 1 બેઠક બિનહરીફ થઇ છે.જયારે જીલ્લાની 7 તાલુકા પંચાયતની 174 બેઠક પર 689 ફોર્મમાંથી 489 માન્ય રહ્યા હતા. બુધવારે 48 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચાતા 7 તાલુકા પંચાયતની 26 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થઇ છે. જેમાં શહેરા તાલુકા પંચાતયમાં 14, હાલોલ તા.પં.ની 3, કાલોલ તા.પં.ની 6 અને ગોધરા તા.પં.ની 3 મળીને કુલ 26 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ રહ્યા છે.આમ 7 તાલુકા પંચાયતની 148 બેઠકો પર 415 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. આગામી તા. 26 એપ્રીલે યોજાનારી ચુંટણી માટે આજે બુધવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ્ દિવસ હોવાના કારણે ચિત્ર સ્પષ્ટ બની ગયુ છે. મોટાભાગની બેઠકો પર ભાજપે પોતનો કબજો જમાવીને ખાતુ ખોલાવી દીધુ છે. તો કોંગ્રેસે પણ ખાતુ ખોલાવ્યુ છે. જોકે પ્રચાર માટે ગણતરીનો સમય રહેતા ઉમેદવારોએ પોતાની તમામ તાકાત લગાવવી પડશે. 7 તાલુકા પંચાયતમાં ભાજપના 26 ઉમેદવાર બિનહરીફ થયા જિલ્લા પંચાયતની ભાજપની‎બિનહરીફ થયેલ બેઠકોના નામ‎ગોધરાની સાંપા અને નદીસર, શહેરા તાલુકાની અણીયાદ, મંગલીયાણ,‎ધામણોદ તથા નાંદરવા તથા કાલોલ તાલુકાની કરોલી બેઠક પર ભાજપના‎ઉમેદવાર બિનહરીફ થયા હતાં.‎

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

ચૂંટણીનું સમીકરણ:ગોધરા નગર પાલિકાની 44‎ પૈકી 4 સ્ત્રી બેઠકો બિનહરીફ‎

ગોધરા નગર પાલિકાની 44 બેઠકોમાંથી 4 સ્ત્રી ઉમેદવાર બિનહરીફ થયા છે. પાલીકાના 11 વોર્ડની 40 બેઠકો પર ચુંટણી જંગ ખેલાશે. વોર્ડ 10 અને 11 માં ભાજપના બે ઉમેદવાર બિનહરીફ થવા છતાં ચુંટણી જંગમાં ઉતરવુ પડશે. પાલીકાની 40 બેઠકો પર 117 ઉમેદવારો વચ્ચે ચુંટણી યોજાશે. ગોધરા નગર પાલિકાની ચુંટણીમાં કુલ ઉમેદવાર ફોર્મ 186 આવ્યા હતા. જેમાંથી ચકાસણીમાં 44 ફોર્મ અમાન્ય થતા 142 ઉમેદવારો રહ્યા હતા. બુધવારના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસે 21 ફોર્મ પરત ખેચાતાં 117 ઉમેદવાર ચુંટણી જંગ ખેલાશે. જયારે ભાજપની 4 સીટ બીનહરીફ થઇ છે. પાલિકામાં વોર્ડ 3 માં પછાતવર્ગની સ્ત્રી ઉમેદવાર અને સામાન્ય સ્ત્રી ઉમેદવાર બિનહરીફ થઇ છે. જયારે વોર્ડ 4 માં અનુસુચિતજાતિ સ્ત્રી બેઠક પર ભાજપના ઉમેદવાર તથા વોર્ડ 10 માં અનુસૂચિત જાતિ સ્ત્રી બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થઇ છે. આમ પાલિકામાં ભાજપની 28 બેઠકોમાંથી 4 બેઠકો ભાજપે કબજે કરી દીધી છે. પાલિકાની 40 બેઠકો પર ભાજપના 24, કોગ્રેસના 7, આપના 22, મીમના 1, અન્ય પક્ષોના 2 તથા 61 અપક્ષો વચ્ચે જંગ ખેલાશે. પાલીકાના વોર્ડ 10 અને 11 વોર્ડમાં પછાત વર્ગ અને સામાન્ય સ્ત્રી બેઠક પર ભાજપના ઉમેદવાર સામે એક પણ ઉમેદવાર ન હોવાથી બિનહરીફ જેવી સ્થિતિ બનવા છતાં તેઓને ચુંટણી જંગમાં ઉતરવું પડશે. તેવી રીતે વોર્ડ 7 માં પછાત વર્ગના ઉમેદવાર સામે એક પણ ઉમેદવાર ના હોવા છતાં ચુંટણી લડવી પડશે. પાલિકાના 24 બેઠક પર ભાજપ અને અપક્ષ વચ્ચે ખરાખરીનો જંગ થશે. જયારે 16 બેઠક પર અપક્ષો સામે આપ, મીમ વચ્ચે સીધો જંગ થશે. ગોધરા નગર પાલિકામાં પશ્ચિમ વિસ્તારમાં ભાજપ કે કોંગ્રેસ દ્વારા કોઇ ઉમેદવાર મેદાનમાં ઉતારવામાં ન આવતાં સ્થાનિક ઉમેદવારો કામ કરતા ઉમેદવારને જ મેદાનમાં જીતાડશે તે નક્કી છે. પાલિકાની 11 વોર્ડમાં સત્તાનો સંધર્ષ જામશે પછાત સ્ત્રીએ સામાન્ય ફોર્મ ભરતાં પછાત‎વર્ગના પુરુષને ચૂંટણી લડવી પડશે‎વોર્ડ 10 માં ભાજપના પછાત વર્ગના ઉમેદવાર સામે કોગ્રેસના ઉમેદવારનુ ફોર્મ રદ થતા બીનહરીફ થાય પરંતુ વોર્ડ 10 માં પછાત વર્ગની મહિલા ઉમેદવારે સામાન્ય સ્ત્રી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હોવાથી પછાત વર્ગ પુરુષની સીટના ભાજપના ઉમેદવારને પણ ચુંટણી લડવી પડશે. જેથી વોર્ડ 10 માં ભાજપના 3 ઉમેદવાર સામે આપના 2 ઉમેદવાર વચ્ચે જંગ ખેલાશે. તેવી જ રીતે વોર્ડ 11 માં ભાજપના સામાન્ય સ્ત્રી ઉમેદવાર સામે કોઇ ઉમેદવાર ના હોવાથી બીનહરીફ હોવા છતાં વોર્ડમાં એસટી સ્ત્રી સીટ પરથી મહિલા ઉમેદવાર ઉભા હોવાથી ભાજપના સામાન્ય સ્ત્રી ઉમેદવારને ચુંટણી જંગ લડવો પડશે. સામાન્ય સ્ત્રી કરતા એસટી સ્ત્રી ઉમેદવાર વધારે મત લાવે તો તે સીટ સામાન્ય ગણવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

કારચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો‎:કેલોદમાં ઝાડ નીચે ઉભેલી મહિલાને કારે ટક્કર મારતા મોત

કેલોદ ગામના રમેશભાઈ સોમાભાઈ બારીઆ તા 14 એપ્રિલે બપોરના સમયે ગામના રોડ પાસે પાન મસાલાના ગલ્લા પાસે ઉભા હતા. તે દરમિયાન એક સફેદ રંગની કારનો ચાલક બેદરકારીપૂર્વક અને ઝડપથી વાહન હંકારતા આવ્યો હતો. રોડની સાઇડમાં ઝાડના છાંયામાં ઉભા રહેલ આરમબેન રયજીભાઈ બારીઆને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જી કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત સર્જાતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. અકસ્માતના પગલે મહિલા રોડ પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતા. લોકોએ 108ને જાણ કરતા ઈજાગ્રસ્ત મહિલાને પહેલા મોરવા(હ)ના સરકારી દવાખાને અને બાદમાં વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન ફરજ પરના તબીબે આરમબેનને મૃત જાહેર કર્યા હતા. પરિવાર દ્વારા મોરવા હડફ પોલીસમથકે ફરાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. ફરીયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

સીબીઆઈના દરોડા:દમણ RTO માં મોડી સાંજે સીબીઆઈના દરોડા પડયા

દમણના એરપોર્ટ રોડ પર આવેલી રિજીનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO)માં બુધવારે સાંજે આશરે 5 વાગ્યાના સમયગાળામાં અચાનક ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, મુંબઈ પાસિંગની લગભગ 4થી 5 ગાડીઓ આરટીઓ પરિસરમાં પ્રવેશી હતી, જેના કારણે ત્યાં હાજર લોકોમાં ઉત્સુકતા અને આશંકા ફેલાઈ ગઈ હતી. સ્થાનિક સૂત્રો અનુસાર, આ ગાડીઓમાંથી ઉતરેલા આશરે 12થી 15 લોકો મુંબઈ સીબીઆઈ ઓફિસના અધિકારીઓ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટના દરમિયાન આરટીઓ ઓફિસમાં કામ કરતા તમામ કર્મચારી ઓફિસમાં જ હતા. સાથે જ ઓફિસના મુખ્ય દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા અને કોઈપણ નવા વ્યક્તિને અંદર પ્રવેશ કરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઓફિસની અંદર શું ચાલી રહ્યું હતું તે અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી, પરંતુ પ્રાથમિક માહિતી મુજબ આ કાર્યવાહી છાપા (રેડ) સાથે સંકળાયેલ હોઈ શકે છે. આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ પ્રાપ્ત થઈ નથી. સંબંધિત અધિકારીઓ દ્વારા પણ કોઈ જાહેર નિવેદન આપવામાં આવ્યું નથી. જે અંગે ગુરૂવારે ખુલાસો થઇ શકે છે. સેલવાસ આરટીઓમાં પણ રેડ‎દાદરા નગર હવેલી પરિવહન વિભાગમા મુંબઈ સીબીઆઈની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી છે અને આરટીઓ કચેરીને સીલ કરવામાં આવી છે.મળેલ માહિતી અનુસાર આરટીઓ કચેરીમાં એજન્ટ તરીકે કામ કરતા મુકુંદ કોંકણીની અટક કરવામાં આવી છે અને સેલવાસ આરટીઓ કચેરીને સીલ કરવામાં આવી છે. કચેરીની અંદરના કર્મચારીઓને પણ ઓફિસમાં બેસાડવામાં આવ્યા છે.વધુ જાણકારી મુજબ મુકુંદને દમણ આરટીઓ કચેરીમાં લઈ જવામાં આવ્યો છે .

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

મોરબી જિલ્લામાં ફોર્મ ખેંચવાની ખેંચતાણ:5 તાલુકા પંચાયતમાં એક જ દિવસમાં 19 ફોર્મ પરત ખેંચાયા

મોરબી જિલ્લાની પાંચ તાલુકા પંચાયત માટે જાહેર થયેલી સામાન્ય ચૂંટણી માટે ગત 6 એપ્રિલથી 11 એપ્રિલ સુધીમાં 98 બેઠક માટે 415 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા જોકે બાદમાં ચકાસણી પ્રકિયા થતા ડમી ઉમેદવારો અને ભૂલ ભરેલ ફોર્મ રદ થા હતા જયારે બુધવારે ફોર્મ પરત ખેચવાનો અંતિમ દિવસ હતો. અંતિમ દિવસે રીતસર અલગ અલગ તાલુકા પંચાયતમાં ફોર્મ પરત ખેંચવા ઉમેદવારો એક પછી એક આવી પહોચ્યા હતા મોરબી જીલ્લાની 5 તાલુકા પંચાયતમાં 19 ફોર્મ પરત ખેચવામાં આવતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ હાફળા ફાફડા થયા હોય તેવી સ્થિતી બની હતી મોરબી જીલ્લાની માળિયા મિયાણા તાલુકા પંચાયતની જુના ઘાટીલા બેઠક પર 4 અપક્ષ ઉમેદવારો એ બગસરા બેઠક પરથી એક ઉમેદવારે ફોર્મ પરત ખેચ્યું હતું મોરબી તાલુકા પંચાયતની આ ઉપરાંત જાંબુડિયા ઓબીસી સીટના એક કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા આ બેઠક પર માત્ર ભાજપના એક જ ઉમેદવાર રહેતા મતદાન વિના વિજેતા બન્યા હતા જોકે હજુ તેની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. જુના નાગડાવાસ બેઠક પર અને પંચાસર બેઠક પરથી 1-1 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા આ જ પ્રકારે ટંકારા તાલુકા પંચાયતમાં બંગાવડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચેતનાબેન કટારિયા એ ફોર્મ પરત ખેંચતા હવે ત્યાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર થશે બીજી તરફ કોંગ્રેસ માટે રાહતના સમાચાર નાના ખીજડીયા તાલુકા પંચાયત બેઠક પરથી મળ્યા હતા. ધ્રુવ નગરના રાજવી ધર્મરાજસિંહ બાલકૃષ્ણ જાડેજાએ અપક્ષ ઉમેદવારી તરીકે ભરેલું ફોર્મ પરત ખેંચ્યું હતું અને કોંગ્રેસમાં જોડાયા હતા. રોહીશાળા બેઠક પરથી પણ બે ફોર્મ પરત ખેચાયા હતા જયારે સરાયા બેઠક ના પણ એક ઉમેદવારે તેનું ફોર્મ પરત ખેચ્યું હતું. વાંકાનેર તાલુકા પંચાયતની અરણી ટીંબા, ગારીયા,હસનપર અને ખખાણા બેઠકના એક -એક ઉમેદવારો ફોર્મ પરત ખેચતા હવે વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠક માટે 76 ઉમેદવારો મેદાનમાં રહેશે અને આગામી 26 એપ્રિલના રોજ મતદારો તેમના ભાવીનો ફેસલો કરશે હળવદ તાલુકા પંચાયતની એક પણ બેઠકમાંથી ફોર્મ પરત ખેચવામાં આવ્યા ન હતા હળવદ તાલુકા પંચાયતની તમામ 20 બેઠકમાં 61 ઉમેદવારો સીધા મેદાને જંગમાં ઉતરશે

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

પોલીસની કામગીરી સામે કોળી સમાજમાં આક્રોશ:ઊનામાં માર મારવાના બનાવમાં આવેદન, કાર્યવાહીની માંગ

ઊના શહેર માં બે દિવસ પહેલા ગીરગઢડા 80 ફૂટ રોડ પર આવેલ મલ્હાર ઢોસા ના સંચાલક અને તેમના સ્ટાફ દ્વારા નજીવી બાબતે રાત્રી ના સમયે કોળી સમાજ ના પરિવાર પર ગાડી અથડાવા જેવી સામાન્ય બાબતે કોળી સમાજ ના દિકરા અને દીકરી પર લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવેલ આ હુમલા માં મલ્હાર ઢોસા ના સ્ટાફે વિરુદ્ધ ઉના પોલીસ માં ફરિયાદ નોંધાવતા આ બાબતે પોલીસ ની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ઉના પોલીસ માં મુખ્ય આરોપી મલ્હાર ઢોસાના માલિક કે સ્ટાફ છે તેવું પોલીસ ફરિયાદમાં દર્શાવેલ નહીં હોવાથી અને જે ઇજાગ્રસ્તોને ઇજા થયેલ છે તે ઇજા મુજબ ની કલમો નો ઉમેરો કરેલ નહીં કરતાં કોળી સમાજની દીકરી ને ગળા ના ભાગે ઈજા કરનાર લોકો એ જે ઇજા કરેલ હોય તે મુજબ ની કલમો નો ઉમેરો ઉના પોલીસ દ્વારા કરવામાં આવેલ નથી. તેવું સ્પષ્ટ દેખાય આવતાં આરોપી પ્રત્યે પોલીસની ભુમિકા સામે ઉના શહેર તાલુકા ના સમસ્ત કોળી ઠાકોર સમાજ ના આગેવાનો કાર્યકરો અને મોટીસંખ્યામાં લોકો એ આવેદન પત્ર પ્રાન્ત અધિકારી ને આપી કોળી ઠાકોર સમાજ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવેલ છે કે મલ્હાર ઢોસા નો માલિક રાજકીય વગ ધરાવતો હોય તેથી તેને પોલીસ દ્વારા છાવરવામાં આવે છે કોળી સમાજ ના આગેવાનો રસિકભાઈ ચાવડા,મનોજભાઈ બાંભણીયા, પરેશભાઈ બાંભણીયા, અલ્પેશભાઈ બાંભણીયા, સંજયભાઈ બાંભણીયા ,મહેશભાઈ બાંભણીયા સહિત ના કોળી સમાજ ના 300 થી વધુ લોકો એ પ્રાંત અધિકારી ને આવેદન પત્ર પાઠવી આ સમગ્ર ઘટના ની તટસ્થ અને ન્યાયિક તપાસ ની માંગણી કરેલ છે.અને તપાસમાં સીસીટીવીના આધારે તપાસની માંગ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

દુર્ઘટના:નવાબંદરના દરિયામાં 10 નોટિમાઈલ દુર બોટની જળસમાધિ

ઊનાના નવાબંદર દરીયા કિનારે થી છ ખલાસી સાથે 13 એપ્રિલ ના બપોરે 11 કલાકે ફિસીગ માટે નિકળેલી મીનાબેન અર્જુન ભાઈ બાંભણીયા ની ક્રિષ્ના સાગર બોટ નંબર GJ14 MM 1932 ગત તા 14 એપ્રિલ ની મોડી રાત્રે નવાબંદર થી 10 નોટીમાઈલ દુર ફિશીંગ કરી રહી હતી. અચાનક દરિયા વચ્ચે ભારે પવન ફૂંકાતા દરિયા ના પાણી ના ભારે મોજા ઉછળ્યા હતા અને ક્રિષ્ના સાગર બોટ ને મોજાં ના તાંડવ એ જપડ મા લેતા ઉંડા પાણી વચ્ચે બોટ ને ડુબાડી દેતાં જળસમાધિ લીધી હતી. જોકે પરિસ્થિતિ નો ખ્યાલ બોટ મા રહેલાં ટંડેલ અને ખલાસીઓ ને આવી જતા બોટ મા રહેલી બચાવ સામગ્રી સાથે ભરત જીણા શાંતી બાબુ શાંતી અરજણ જીવરાજ ધનજી લાલજી ઉર્ફે લાલો અને ભરત સહીત ના ખલાસી બોટ માંથી રાડો રાડ કરી ઉંડા પાણીમાં કુદી પડી પોતાની જીંદગી બચાવવા દરિયા ના વચ્ચે જંગ લડતાં રહ્યાં હતાં આ તકે આજ વિસ્તારમાં નવાબંદર ના અરજણભાઇ બાબુભાઈ ની બોટ કનકેશ્વરી તેમજ અન્ય જયવંશી નામ ની બોટ દોડી આવી પાણી વચ્ચે જીંદગી મોત વચ્ચે ઝઝુમી રહેલા ઉપરોક્ત 6 ખલાસી ને સલામત રીતે બચાવી પોતાની બોટ મા લઇ લીધા હતા અને ગત રાત્રે નવાબંદર દરીયા કાંઠે પહોંચાડ્યા હતા. પાણી બોટમાં ભરાઈ ગયું'તુંબોટ માલીક મીનાબેન બાંભણીયા સાથે વાત કરતાં જણાવ્યું કે ફિસીગ બોટ ભારે પવન ફૂંકાતા દરિયા મોજાં એ થપાટ મારતા પાણી બોટ મા ભરાતા સીધી જળ સમાધી લીધી હતી અને બોટમાં પાણી ભરાયુ હતું. ગામના સરપંચ-માછીમાર અગ્રણી સોમવાર ભાઈ મજીઠીયા સહિત મદદે દોડી ગયા હતા.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

ચૂંટણી જંગ:આપના ઉમેદવારે પિતાના, કોંગ્રેસના‎ઉમેદવારે સાસુના કહેવાથી ફોર્મ ખેચ્યું‎

બોટાદ નગરપાલિકાના 11 વોર્ડમાં 44 બેઠક ઉપર ભાજપ -કોંગ્રેસ -આપ-અપક્ષ અને અન્ય મળી 117 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. વોર્ડ નં.6ના આપ અને વોર્ડ નં.9ના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હતા. જેમાં કારણમાં એકએ પિતાના કહેવાથી તો મહિલા ઉમેદવારે સાસુના કહેવાથી ફોર્મ પરત ખેચ્યું હોવાનું જણાવ્યું હતું. બોટાદ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકોને લઈ 126 ઉમેદવાર, બોટાદ તાલુકા પંચાયતની 22 બેઠકોને લઈ 77 અને બોટાદ જિલ્લા પંચાયતની 20 બેઠકોને લઈ 93 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તા.13 એપ્રિલના ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમિયાન બોટાદ જિલ્લા પંચાયતની 20 બેઠકોમાં ભરાયેલ 93 ફોર્મ પૈકી 68 ફોર્મ માન્ય રખાયા હતા જ્યારે 25 ફોર્મ અમાન્ય રહેલ. જેમાં 14 ભાજપ 6 આપ 4 કોંગ્રેસ અને 1 આઈ.એન.ડી નું ફોર્મ અમાન્ય રહેલ. બોટાદ તાલુકા પંચાયતની 22 બેઠકોને લઈ 77 ફોર્મ પૈકી 65 ફોર્મ માન્ય રહેલ જ્યારે 12 ફોર્મ અમાન્ય રહેલ. જેમાં 7 ફોર્મ ભાજપ અને 5 ફોર્મ કોંગ્રેસના અમાન્ય રહેલ.બોટાદ નગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠકોને લઈ 126 ઉમેદવારો પૈકી 119 ફોર્મ માન્ય રહેલ જ્યારે 7 ફોર્મ રદ થયા હતા. તા.15 એપ્રિલના ફોર્મ પરત ખેંચવાની તારીખે બોટાદ જિલ્લા પંચાયતની નાના પાળીયાદ બેઠકના રમેશભાઈ બેચર ભાઈ સરવૈયા એ એન .સી .પી .માંથી ફોર્મ પરત ખેચેલ છે. જ્યારે બોટાદ નગરપાલિકાના વોર્ડ નં-6 ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતનભાઇ હર્ષદભાઈ ચૌહાણ અને વોર્ડ નં-9 ના દક્ષાબેન જીગરકુમાર રેલીયા ભા.રા .કોં. ના ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ખેચતા બોટાદ નગરપાલિકાના ભાજપ - 44, કોંગ્રેસ - 41આપ-30,અપક્ષ-1 અને અન્ય -1 મળી 117 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. અમને કોઇએ ધમકી આપી નથી, સ્વેચ્છાએ નિર્ણય લીધોવોર્ડ નં-9 ના ભા. રા.કો. ઉમેદવાર દક્ષાબેન જીગરકુમાર રેલીયા સાથે ફોર્મ પરત ખેંચવા બાબતે વાતચીત કરતા તેઓએ કોઈ જવાબ આપેલ નહીં જ્યારે તેના સાસુએ જણાવ્યું હતું કે, મે ચૂંટણી લડવાની ના પાડી છે. ધાકધમકી બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે મને કોઈ ધાક ધમકી દે એવું કોઈ છે નહીં. મેં કોઈ ધાક ધમકી સુની નથી અને કોઈ દિવસ સુનિશપણ નહીં તેમ જણાવ્યું હતું વોર્ડ નં-6 આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતનભાઇ હર્ષદભાઈ ચૌહાણ સાથે ઉમેદવારી પરત ખેંચવા બાબતે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે મારા પિતાએ ચૂંટણી લડવાની ના પાડેલ અને ઘરના પ્રશ્નોને લઈ ફોર્મ પરત ખેંચેલ છે. તેઓએ પ્રથમવાર જ ઉમેદવારી ફોર્મ ભરેલ હોવાનું જણાવેલ. વોર્ડ નં.1-3 અને 6માં સૌથી ઓછા 9 ઉમેદવાર બોટાદ નગરપાલિકામાં 44 બેઠક ઉપર ચૂંટણી જંગ જામશે. ફોર્મ પરત ખેંચવાના દિવસે 2 ઉમેદવાર ફોર્મ ખેંચતાં કેટલા ઉમેદવારો મેદાને તે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. જેમાં વોર્ડ નં-1, 3 અને 6માં સૌથી ઓછા 9 ઉમેદવારો અને વોર્ડ નં-2, 4 અને 11માં સૌથી વધારે 12 ઉમેદવારો મેદાને છે. આ ચૂંટણીમાં ભાજપના નારાજ ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી પણ નોંધાવતાં રસાકસી જામશે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

તપાસ:સાસુ , સસરા, જેઠ, જેઠાણી વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશને પુત્રવધુએ ફરિયાદ નોંધાવી

અઠવાડીયાથી ઘર કંકાસના કારણે ઘરેથી કાઢી મુકેલ પુત્ર અને પુત્ર વધુ રાંધી ખાવાનો સામાન તેના સસરાના ઘરે લેવા જતા પુત્ર અને પુત્રવધુ પર હુમલો કરી ઇજા કરતા સાસુ, સસરા, જેઠ, જેઠાણી વિરુદ્ધ પુત્રવધુએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે પોલીસ વર્તુળના જણાવ્યા પ્રમાણે બોટાદ શહેરના ઢાંકણીયા રોડ પર રહેતા ફરિયાદી કિંજલબેન અક્ષયભાઈ ગાબુ ઉવ-25 એ સસરા મનોજભાઈ, સાસુ વર્ષાબેન,જેઠ સુનિલભાઈ અને જેઠાણી કાજલબેન વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ફરિયાદી કિંજલ બેનના લગ્ન એકાદ વર્ષ પહેલા બોટાદના મનોજભાઈ નાનુભાઈના દિકરા અક્ષય સાથે સમાજના રીત રિવાજ મુજબ થયેલ લગ્ન થયા ત્યારથી સસરા- સાસુ તથા જેઠ -જેઠાણી બધા તેઓના જુના ઘરે વરીયાદેવી મંદિર પાસે ચકલા ગેટે સંયુક્ત પરિવારમાં રહેતા હતા અને પતિ વરીયાદેવી મંદિર પાસે રામાધણી પાવ ભાજી નામની લારી ચલાવતા હતા. એકાદ અઠવાડિયા પહેલા સાસુ સસરા તથા જેઠ જેઠાણી સાથે ઘર કંકાશ થતા પતિ-પત્ની તેના નવા ઘરે બાપાસીતારામ ઢાંકણીયા રોડે આવેલ મકાને જતા રહેલ ગત 13 એપ્રિલના સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ કિંજલબેન તથા તેના પતિ અક્ષયભાઈ બંને પતિ પત્ની તેના સસરાના ઘરે રસોડા જેટલો સામાન લેવા ગયેલ હતા જ્યા પતિ અક્ષયભાઇએ ઘરવખરી જેટલો સામાન માંગતા અક્ષય ભાઈના પિતા મનોજભાઈ, જેઠ સુનિલભાઈ તથા જેઠાણી સાસુ વર્ષાબેન પણ ગાળો બોલવા લાગ્યા હતા અને કિંજલ બેન ઘરનો સામાન લેવા ઘરમાં જતા ચારેય આરોપીએ હુમલો કરેલ. જેમાં ફરિયાદી કિંજલબેનને તેના જેઠ સુનિલભાઈ લાફો મારેલ તથા જેઠાણીએ પથ્થરનો છૂટા ઘા કરતા પતિ અક્ષય ભાઈને જમણા પગના અંગુઠે ઇજા થયેલ તથા સસરા મનોજભાઈએ પુત્રવધુ કિંજલબેનને પ્લાસ્ટિકની નોઝર માથામાં મારી દીધેલ તથા સાસુ વર્ષાબેને વાળ ખેંચી નીચે પાડી દીધેલ જેથી શોર બકોર થતા આજુબાજુમાંથી બધા ભેગા થઈ જતા વધુ મારમાંથી છોડાવેલ. આમ ઉપરોક્ત બનાવઅંગે કિંજલબેન એ બોટાદ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવેલ છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

14,500થી વધુ લોકોના ડેટાનું ઊંડું વિશ્લેષણ:કાળઝાળ ગરમીથી ભારતના વૃદ્ધોમાં બ્રેઈન સ્ટ્રોકનું જોખમ18% વધ્યું; મહિલાઓ, શહેરીજનોને સૌથી વધુ ખતરો

વધતા તાપમાન અને ગ્લોબલ વોર્મિંગની સીધી અસર હવે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર સ્વરૂપે દેખાવા લાગી છે. નવા સંશોધન મુજબ, લાંબા સમય સુધી સખત ગરમી (એક્સ્ટ્રીમ હીટ ડેઝ) ના સંપર્કમાં રહેવાથી ભારતના 45 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોમાં સ્ટ્રોક (લકવો) થવાનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. ‘એન્વાયરમેન્ટલ રિસર્ચ: હેલ્થ’ જર્નલમાં તાજેતરમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં ‘લોન્ગીટ્યુડિનલ એજિંગ સ્ટડી ઈન ઈન્ડિયા’ (LASI) ના કુલ 14,594 લોકોના ડેટાનું ઊંડું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ અભ્યાસ દર્શાવે છે કે છેલ્લા 12 વર્ષના સમયગાળામાં સરેરાશ એક્સ્ટ્રીમ હીટ ડેઝમાં એક સ્ટાન્ડર્ડ ડેવિએશનનો વધારો થતાં સ્ટ્રોકનું જોખમ 18% જેટલું વધી ગયું છે. કોને છે સૌથી વધુ ખતરો? પુરૂષો કરતાં મહિલાઓમાં સ્ટ્રોક આવવાની શક્યતા વધુ મહિલાઓ: પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં સખત ગરમીને કારણે સ્ટ્રોક આવવાની શક્યતાઓ વધુ જોવા મળી છે. શારીરિક રચનામાં ભિન્નતા અને હોર્મોનલ ફેરફારોને કારણે મહિલાઓની ગરમી સહન કરવાની ક્ષમતા ઓછી હોય છે. શહેરીજનો: ગામડામાં રહેતા લોકો કરતા શહેરમાં રહેતા લોકોમાં સ્ટ્રોકનું જોખમ નોંધપાત્ર રીતે વધુ જોવા મળ્યું છે. કોંક્રિટના જંગલો, હાઈ ડેન્સિટી અને ઘટતા વૃક્ષોને કારણે સર્જાતી ‘અર્બન હીટ આઇલેન્ડ ઇફેક્ટ’ આ માટે જવાબદાર છે. કોમોર્બિડિટીવાળા દર્દીઓ: પહેલેથી જ ડાયાબિટીસ કે હાઈ બ્લડ પ્રેશર (હાયપરટેન્શન) ની તકલીફ છે, તેમના માટે ગરમીમાં સ્ટ્રોકનો ખતરો અનુક્રમે 40% અને 33% જેટલો વધી જાય છે. શિક્ષણનો અભાવ: ઓછું ભણેલા અથવા ઔપચારિક શિક્ષણ ન મેળવનારા લોકોમાં આ ખતરો વધુ જોવા મળ્યો છે. જેનું મુખ્ય કારણ કદાચ ખરાબ રહેઠાણની સ્થિતિ, આઉટડોર કામગીરી અથવા ઇમરજન્સી મેડિકલ કેરના અભાવને ગણી શકાય. ગરમીમાં સ્ટ્રોક શા માટે આવે છે?ઉંમર વધવાની સાથે શરીરની તાપમાન નિયંત્રિત કરવાની સિસ્ટમ નબળી પડી જાય છે. પરસેવો થવાની પ્રક્રિયા ધીમી પડવાથી અને હૃદયની ક્ષમતા ઘટવાથી શરીર ગરમીને પૂરતા પ્રમાણમાં બહાર કાઢી શકતું નથી. ઉપરાંત, સખત ગરમીમાં ડિહાઇડ્રેશન થવાથી લોહી ઘટ્ટ બને છે, અને નસો પર દબાણ વધે છે, જે આગળ જતાં કાર્ડિયોવાસ્ક્યુલર બીમારી અને બ્રેઈન સ્ટ્રોકનું મુખ્ય કારણ બને છે. શું પગલાં લેવા જોઈએ? : રિસર્ચ એ વાત પર ભાર મૂકે છે કે વધતા તાપમાનને માત્ર ઋતુગત ફેરફાર ગણવાને બદલે પબ્લિક હેલ્થ ઇમરજન્સી તરીકે જોવું જોઈએ. ખાસ કરીને ભારત સરકારના ‘નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ નોન-કમ્યુનિકેબલ ડિસીઝ’ અને 2025ના ‘નેશનલ સ્ટ્રોક એક્શન પ્લાન’ અંતર્ગત વૃદ્ધો અને કો-મોર્બિડ દર્દીઓને ગરમીથી બચાવવાની અને કૂલિંગ ફેસિલિટી પૂરી પાડવાની ખાસ જોગવાઈઓ કરવી હવે અત્યંત જરૂરી બની ગઈ છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

એડવાન્સ રૂલિંગ ઑથોરિટીનો મહત્ત્વનો નિર્ણય:મેન્ટેનન્સ, પાણી-વીજળી, કોર્પસ ફંડ પર GST લાગશે; હાઉસિંગ સોસાયટીઓએ પણ ટેક્સ ભરવો પડશે

હાઉસિંગ સોસાયટી દ્વારા લેવાતી મેન્ટેનન્સ ફી સાથે પાણી-વીજળીનાં બિલ અને કોર્પસ ફંડ અલગથી લેવાય તો તે તમામ રકમ પર પણ જીએસટી લાગુ પડશે. એડવાન્સ રૂલિંગ ઑથોરિટી (AAR)એ આ મુદ્દે મહત્ત્વનો નિર્ણય આપતાં જણાવ્યું કે રૂ. 7500ની ઉપર જતા મેઇન્ટેનન્સ ફીમાં પાણી, વીજળીનાં અલગ બિલ માગીને જીએસટીની મર્યાદાથી બચવા માંગતી સોસાયટીઓએ ટેકસ ભરવો પડશે. એએઆરએ કહ્યું કે સોસાયટી સભ્યો પાસેથી પાણી અને વીજળી માટે પૈસા વસૂલે જો તે જેટલો ખર્ચ થયો એટલો અને અલગ બિલમાં લેવાય તોય તે મેન્ટેનન્સ સર્વિસનો જ ભાગ ગણાશે. એટલે આના પર જીએસટી લાગશે. ઘણી સોસાયટીઓ માને છે કે તેઓ ફક્ત મેમ્બરો તરફથી પૈસા લઈ આગળ ચુકવણી કરે છે, એટલે ટેક્સ લાગતો નથી. પરંતુ એએઆરએ સ્પષ્ટ કર્યું છે કે જો બિલ સોસાયટીના નામે હોય, તો તેને pure agent ગણાવી શકાતું નથી. એટલે આ રકમ પર પણ જીએસટી લાગશે. સોસાયટી સભ્યો પાસેથી કોર્પસ માટે રકમ લે ત્યારે તેને ભવિષ્યમાં આપવાની સેવા માટે પહેલેથી લેવાયેલા એડવાન્સ માનવામાં આવશે. એટલે પૈસા મળ્યા ત્યારે જ જીએસટી લાગશે. અલગ નામે લેવાયેલા મેન્ટેનન્સને પણ લાગુસોસાયટી સભ્યો પાસેથી જે પૈસા વસૂલે છે, તે હવે જીએસટીના દાયરામાં આવી શકે છે. ભલે તે અલગ-અલગ નામે લેવાયા હોય. હાલમાં 7500થી વધુ રકમ ઉપર જીએસટી લાગુ પડે છે. આ મર્યાદાથી બચવા સોસાયટી લાઇટ, પાણી જેવાં મથાળાં હેઠળ રકમ લઇને મેઇન્ટેનન્સ રૂ. 7500થી નીચે બતાવે છે. પરંતુ હવે તમામ રકમ પર જીએસટી લાગશે. > વિપુલ ખંધાર, સીએ

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

પરિણામ:CBSE બોર્ડ ધોરણ 10નું અમદાવાદ રિજિયનનું 96.61% પરિણામ જાહેર

સીબીએસઈની ધોરણ 10ની પરીક્ષાનું ઓલ ઇન્ડિયા લેવલનુ પરિણામ જાહેર કરાયું છે. આ વખતે અમદાવાદ રિજિયનનું પરિણામ 96.61 ટકા જાહેર કરાયું છે. અમદાવાદ અને ગાંધીનગર સહિતની 800થી વધુ સ્કૂલોનું 96.61 ટકા વધારે પરિણામ જાહેર કરાયું છે. બોપલની ધ ન્યુ ટ્યુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી તેજસ શ્રીધરે જણાવ્યું કે ‘20 વર્ષોથી સતત 100 ટકા પરિણામ મેળવવાની પરંપરા હજી પણ ધોરણ 10માં જળવાઈ રહી છે.’ 90થી 100 % પરિણામ મેળવનારી અમદાવાદ-ગાંધીનગર શહેરની કેટલીક અગ્રણી સ્કૂલો નામ • ઉદગમ સ્કૂલ, • ઝેબર સ્કૂલ, • ડીપીએસ, બોપલ, • ન્યુ ટ્યુલિપ ઈન્ટરનેશનલ બોપલ, • ઉદગમ સ્કૂલ, થલેતેજ, • મહારાજા અગ્રસેન, • ડીપીએસ, બોપલ, • કેલોરેક્સ સ્કૂલ, ઘાટલોડીયા, • ત્રિપદા સ્કૂલ, • સત્વ વિકાસ સ્કૂલ, • રંગોલી ઈન્ટરનેશનલ સ્કૂલ, ગાંધીનગર, • ત્રિપદા ઈન્ટરનેશનલ સ્કૂલ, • સંત કબીર સ્કૂલ, • આવિષ્કાર ઈન્ટરનેશનલ, • એશિયા સ્કૂલ, • ડીએવી સ્કૂલ, • ડિવાઈન ચાઈલ્ડ બોર્ડના નિર્ણયોને લીધે પરિણામમાં વધારો જોવા મળ્યો બોર્ડે વિવિધ વિદ્યાર્થીલક્ષી નિર્ણયો કર્યા છે. તેમાં મેથ્સમાં બેઝિક અને સ્ટાન્ડર્ડ એમ 2 વિષય રાખવાની ચોઈસ અપાઈ હતી. પરીક્ષામાં બે ટ્રાયલ પરીક્ષાની પરમિશન અપાઈ છે. જેના કારણે વિદ્યાર્થીઓએ ભાર વગર અભ્યાસ કર્યો હતો. આથી પરિણામમાં સુધારો નોંધાયો છે.’ - ડૉ. પ્રહર અંજારિયા, સેક્રેટરી, એઓપીએસ 48 કેન્દ્રીય વિદ્યાલયનું 99.68% પરિણામ આવ્યુંકેન્દ્રીય વિદ્યાલાય સાથે સંકળાયેલાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદ રિજિયનની અમદાવાદ સહિતના જિલ્લાઓની 48 જેટલાં વિદ્યાલયોનું પરિણામ 99.68 ટકા જાહેર થયું છે. 2025-2026માં 3256 વિદ્યાર્થીએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી.જે પૈકીના 3245 પાસ થતા 99.68 ટકા પરિણામ આવ્યું છે. વર્ષોની પરંપરા અનુસાર આ વર્ષના પરિણામમાં વિદ્યાર્થીઓએ ઉત્કષ્ટ દેખાવ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

ભાસ્કર વિશેષ:શહેરનું જિનશાસન ભક્તિ ટ્રસ્ટ વર્ષે 30 હજાર ધજા તૈયાર કરી 6 હજાર જેટલાં દેરાસરને નિ:શુલ્ક આપે છે

જ્યાં એક તરફ ધાર્મિક વિધિમાં ખર્ચ વધતો જાય છે ત્યાં શહેરનું જિન શાસન ભક્તિ ટ્રસ્ટ એક અનોખી સેવા આપી રહી છે. દેરાસરો માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક ધજા તૈયાર કરી અર્પણ કરી રહ્યું છે. છેલ્લાં 20 વર્ષથી ચાલતી આ સેવાએ દેશ-વિદેશનાં અંદાજે 6 હજાર જેટલાં દેરાસર સુધી પહોંચ બનાવી છે. ટ્રસ્ટ દર વર્ષે 30 હજાર જેટલી ધજા તૈયાર કરે છે. તેમાં રોજ લગભગ 300 કાચી અને 200 તૈયાર ધજા બનાવે છે. એક ધજા પાછળ અંદાજે રૂ.₹1000નો ખર્ચ થાય છે, છતાં ભક્તો પાસેથી એક રૂપિયો ય લેવાતો નથી. સંસ્થા અગ્રણી નવીન ગાંધી અનુસાર આ સેવા પાછળ નવીન ગાંધી અને તેમની ટીમનું વિશાળ યોગદાન છે. ધજા માટેનું કાપડ સુરત અને ભીલવાડાથી મગાવાય છે, જ્યાં ફેક્ટરી માલિકો આ સેવામાં જોડાઈ પડતર કિંમતે સામગ્રી આપે છે. એક ધજા બનાવવા અંદાજે 1.5 મીટર કાપડ વપરાય છે. આ સંસ્થાની લોકપ્રિયતા એટલી વધી છે કે અખાત્રીજ જેવા શુભ મુહૂર્તનું પણ ત્રણ મહિના પહેલાથી જ બુકિંગ ફુલ થાય છે. પાલિતાણામાં જ દર વર્ષે લગભગ 1500 ધજા મોકલાય છે. સેવા-ભક્તિ સાથે જોડાયેલ આ અનોખું કાર્ય આજે અમદાવાદ માટે ગૌરવ બની ગયું છે, જ્યાં ધજા માત્ર કાપડ નહીં, પણ શ્રદ્ધા અને સંસ્કારનું પ્રતીક બની રહી છે. આ પ્રકારે ધજાઓ તૈયાર કરવામાં આવે છે. એક નજરમાં ધજા સેવા સંસ્થા: જિન શાસન ભક્તિ ટ્રસ્ટ વર્ષમાં ધજા: ~30,000 20 વર્ષમાં: ~3.5 લાખ દરરોજ: 300 કાચી, 200 તૈયાર એક ધજા: ~1000 (ફ્રી સેવા) દેશ-વિદેશ સુધી પહોંચ કુલ દેરાસર: 6,000 પાલિતાણા: 1,500 ધજા/વર્ષ કાપડ: સુરત, ભીલવાડા 1 ધજા : 1.5 મીટર કાપડ અખાત્રીજ માટે 3 મહિના અગાઉ બુકિંગ ગુરુભગવંતે પ્રેરણા આપી અને ધજા અર્પણ કાર્ય આદર્યુંનવીન ગાંધીના કહેવા પ્રમાણે તેઓ નાનપણથી રોજ 50 જિનમંદિરનાં દર્શન કરતા. 2005માં પહેલી ધજા તૈયાર કરી, ત્યાર બાદ પહેલીવાર એક સાથે 3591 ધજા તૈયાર કરાઇ. આજે 20મું વર્ષ ચાલે છે. પરમાત્માની અસીમ કૃપાથી સંસ્થા વધવા સાથે મોટી થઈ છે. એક ગુરુભગવંતે પ્રેરણા આપી, તમે માત્ર દેરાસરની ભક્તિ માટે કાર્ય કરો ત્યારથી આજ સુધી પરિવારે માત્ર ધજા તૈયાર કરી છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

ભાસ્કર એક્સક્લુસિવ‎:શહેરની 10 મહિલા ભજન મંડળી રૂ. 2 લાખ સુધીની બચત કરીને દર 6 મહિને જાત્રા કરે છે

અમદાવાદમાં આસ્થા, ભક્તિ અને વ્યવસ્થાનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારની મહિલા ભજન મંડળીઓ માત્ર ભજન-કીર્તન સુધી મર્યાદિત ન રહેતાં નાનકડા સેવિંગ્સ ગ્રુપરૂપે પણ કાર્યરત છે. શહેરના નરોડા, મણિનગર, સેટેલાઇટ, ઘાટલોડિયા અને વસ્ત્રાલ જેવા વિસ્તારમાં અનેક મંડળી દર અઠવાડિયે ભેગી થાય છે. ભજન બાદ દરેક સભ્ય પોતાની ક્ષમતા મુજબ રૂ.100થી 500 સુધીની રકમ એકત્ર કરી યાત્રાનું આયોજન કરે છે. એકત્ર થયેલી આ રકમ 4થી 6 મહિના દરમિયાન રૂ. 50 હજારથી 2 લાખ સુધી પહોંચે છે, એ નાણાંથી સામૂહિક યાત્રાનું આયોજન થાય છે. વસ્ત્રાલ રાધે-રાધે ગ્રુપના કહેવા પ્રમાણે એક જરૂરિયાતમંદ બહેનને પુત્રીના લગ્ન માટે રૂ.25 હજારની સહાય કરી હતી. મંડળ યાત્રા સાથે સેવાકાર્યને પણ પ્રાથમિકતા આપીએ છીએ. વર્ષ દરમિયાન 70થી વધુ વાર વિવિધ સોસાયટીમાં ભજન અને આનંદના ગરબાનું આયોજન કરીએ છીએ. અમે ભજન સાથે બચત પણ કરીએ છીએમણિનગરની જયશ્રી કૃષ્ણ મહિલા ભજન મંડળીનાં સભ્ય રમિલાબહેનના કહેવા પ્રમાણે, ‘દર ગુરુવારે ભજન કરીએ છીએ. દરેક બહેન રૂ.200થી 500 દક્ષિણા આપે છે. 6 મહિને એક વાર યાત્રાએ જઈએ છીએ, સાથે મંડળની કોઈ જરૂરિયાતમંદ બહેનને આર્થિક સહાય પણ કરીએ છે. અમારું મંડળ છેલ્લાં 15 વર્ષથી શહેરની વિવિધ સોસાયટી તથા સ્થળ પર ભજન-કીર્તન કરીએ છીએ.’ પૈસા કેવી રીતે ભેગા થાય છે? ભજન મંડળીનું ફંડિંગ મોડલ આ મંડળીઓ ભક્તિ સાથે આવક કરે છે નરોડા મહિલા ભજન ગ્રૂપ મણિનગર જય શ્રી કૃષ્ણ મંડળી સેટેલાઇટ સાકાર ભજન મંડળ વસ્ત્રાલ રાધે-રાધે ગ્રૂપ ઘાટલોડિયા સાઈ ભજન મંડળ બાપુનગર માતાજી ભજન મંડળ ચાંદખેડા હરિ ઓમ મંડળી નિકોલ શ્રી રામ ભજન ગ્રૂપ પાલડી શ્રીનાથજી મંડળ રાણીપ સત્સંગ ભજન મંડળી આ મંડળીઓ ભજન-કીર્તનથી થતી આવકમાંથી બચત કરે છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

ભાસ્કર એનાલિસીસ:ટોચના 10 ધનિક ઉમેદવારમાંથી ભાજપના 9: સીએ, ડોક્ટર, ઇજનેર, IIM પાસઆઉટ, 4 ચોપડી ભણેલા ચૂંટણી મેદાનમાં

મ્યુનિ.ની ચૂંટણીમાં 48 વોર્ડમાં 652 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ઉચ્ચ શિક્ષિત પણ છે અને નિરક્ષર પણ છે. ગોતામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૌમિક પાઠક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્જમેન્ટ (આઈઆઈએમ)માંથી એમબીએ થયેલા છે, તો ઘણા પીએચડી, એમબીબીએસ, સીએની ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ ચૂંટણીના મેદાનમાં છે. કેટલાક ઉમેદવારોએ તો પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કર્યું નથી. એ જ રીતે સંપત્તિમાં પણ 10થી વધુ ઉમેદવારો કરોડપતિ છે, જેમાં ભાજપના 9 અને કોંગ્રેસના 1 ઉમેદવારનો સમાવેશ થાય છે. ઉમેદવારોએ ચૂંટણી પંચ સમક્ષ કરેલા સોગંદનામાંમાં આ વિગતો જાણવા મળી છે. થલતેજના ભાજપના ઉમેદવાર હિતેશ બારોટ 109 કરોડના આસામી છે તો ઘાટલોડિયાનાં ભાજપનાં ઉમેદવાર જાગૃતિ પંડ્યાના બેંક ખાતામાં માત્ર રૂ.29 છે, પણ 15 તોલા સોનું અને એક કિલો ચાંદી છે. આ સિવાય પણ ઘણા ઉમેદવારોના ખાતામાં ગણતરીના રૂપિયા કે માત્ર હજારોની જ સંપત્તિ નોંધાઈ છે. એવા પણ ઉમેદવારો છે, જેમની પર કરોડોનું દેવું છે. બાપુનગરના ભાજપના ઉમેદવાર જયેન્દ્રસિંહ સેનગર પર રૂ.11.6 કરોડનું દેવું છે. પાલડી અને અમરાઈવાડીમાં ભાજપના ઉમેદવારો પાસે બેથી ત્રણ વૈભવી કાર મ્યુનિ.ની ચૂંટણીમાં ઊભા રહેલા કેટલાક ઉમેદવારો પાસે ખૂબ જ મોંઘી અને વૈભવી ગાડીઓ છે તો કોઈ ઉમેદવાર ભાડેથી રિક્ષા ફેરવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. અમરાઈવાડીમાં ભાજપના ઉમેદવાર તેજેન્દ્ર ચૌહાણ પાસે રેન્જરોવર સ્પોર્ટ્સ કાર, જેગુઆર અને ઇનોવા હાઈક્રોસ છે. પાલડીમાં ભાજપના ઉમેદવાર સીએ જૈનિક વકીલ પાસે મર્સિડીઝ અને બીએમડબ્લ્યુ કાર છે. અસારવાના ભાજપના ઉમેદવાર દશરથ પટણી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. 109 કરોડના આસામી થલતેજના હિતેશ બારોટ, બાપુનગરના જયેન્દ્રસિંહને 11 કરોડનું દેવુંચૂંટણીમાં ઉમેદવારી માટે ગરીબ અને પૈસાદારનો ભેદ જોવાતો નથી. તમામ વોર્ડમાં અલગ અલગ મોભો ધરાવતા ઉમેદવારો મેદાનમાં છે. ઘણા ઉમેદવારો કરોડપતિ કે પછી કરોડોની જમીન ધરાવે છે. તો સામે રોજેરોજ કમાઈને ગુજરાન ચલાવતા પરિવારના સભ્યો પણ ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી પંચ સમક્ષ ઉમેદવારોએ કરેલી એફિડેવિટમાં 20થી વધુ ઉમેદવારો એવા જોવા મળ્યા કે જેઓ ધોરણ 10 સુધી પણ ભણ્યા નથી. તો ઘણા ઉચ્ચ શિક્ષિત છે. બચત: સીએ જૈનિક વકીલના પીપીએફ ખાતામાં રૂ. 1.16 કરોડપાલડીના ભાજપના ઉમેદવાર સીએ જૈનિક વકીલે ચૂંટણી પંચ સમક્ષ કરેલી એફિડેવિટ મુજબ તેમની પાસે પીપીએફ ખાતામાં 1.16 કરોડ, પત્નીના પીપીએફમાં 56 લાખ, પુત્રના પીપીએફ ખાતામાં 46 લાખ છે. ન ગાડી, ન બંગલો: કોંગ્રેસના શહેજાદ પઠાણના નામે કશું નથી ગત ટર્મમાં નેતા વિપક્ષ રહેલા શહેજાદખાન પઠાણે એફિડેવિટમાં પોતાની પાસે ગાડી અને ઘર ન હોવાનું જણાવ્યું છે. જોકે તેમણે બે બેંક ખાતાંમાં 9 લાખ અને દોઢ લાખ રોકડ બતાવી છે. ગન લાઇસન્સ: ઘાટલોડિયા, ગોતા, વેજલપુર, થલતેજના ભાજપનાં પાંચ ઉમેદવાર પાસે ગન લાઇસન્સ છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

કોન્ટ્રાક્ટરો સામે કમિશનર લાલઘૂમ:કામગીરી દરમિયાન લાઈનો તૂટશે તો 12 કલાકમાં રિપેર કરવી પડશે નહીં તો દંડ થશે

શહેરમાં રસ્તા, બ્રિજ કે અન્ય વિકાસકાર્યો દરમિયાન ભૂગર્ભમાં નાખવામાં આવેલી પાણી અને ગટરની લાઇનોને થતા નુકસાનને રોકવા મ્યુનિ. કમિશનરે કડક વલણ અપનાવ્યું છે. એક નવા પરિપત્ર મુજબ, જો કોઈ કોન્ટ્રાક્ટર કે એજન્સી દ્વારા મ્યુનિ.ની યુટિલિટીને નુકસાન પહોંચાડશે, તો 12 કલાકમાં રિપેર કરી દેવી પડશે. બે દિવસ પહેલા ગોતામાં ખોદકામ પછી યોગ્ય રીતે પુરાણ ન કરતાં ખાનગી એજન્સીને 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી તેમજ પૂર્વ-દક્ષિણ ઝોનમાં અવારનવાર પાણી-ડ્રેનેજની લાઇનો તૂટવાની ઘટના બને છે. કમિશનરે સૂચના આપી છે કે ટેન્ડરની શરતોમાં દંડની જોગવાઈ ઉમેરવામાં આવે. જો કોન્ટ્રાક્ટર નિયત સમયમાં રિપેરિંગ નહીં કરે, તો મ્યુનિ. અન્ય ખાનગી એજન્સી પાસે કામ કરાવી લેશે અને તેનો તમામ ખર્ચ અને પેનલ્ટી મૂળ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલાશે. કોન્ટ્રાક્ટર કામ નહીં કરે તો મ્યુનિ. ત્રીજી પાર્ટી પાસે કામ કરાવી જે-તે કોન્ટ્રાક્ટર પાસેથી ખર્ચ વસૂલશે

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

સિટી એન્કર:ST બસ ઉપડવામાં વિલંબની 108, ગંદકીની 83, તૂટેલી સીટ-ભીડની 41થી વધુ ફરિયાદ મળી, QR કોડથી અભિપ્રાય મગાવતા નિગમની પોલ ખૂલી

એસટી નિગમ હવે મુસાફરોની સુવિધા અને પારદર્શિતા વધારવા માટે માર્ચમાં શરૂ કરેલી ‘પેસેન્જર ફીડબેક અને પરફોર્મન્સ રેટિંગ સિસ્ટમ’ હેઠળ મુસાફરો હવે ક્યુઆર કોડ સ્કેન કરીને બસની સુવિધા, સ્વચ્છતા અને સ્ટાફના વર્તન અંગે સીધો પ્રતિસાદ આપી શકે છે. જેના આધારે ગણતરીના કલાકોમાં સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા હોવાનો દાવો કરાયો છે. પ્રીમિયમ બસોમાં લગાવેલા ક્યુઆર કોડ પર નિગમને માર્ચ 1702 પેસેન્જરે પોતાની ફરિયાદ સાથે ફીડબેક આપ્યો હતો. એસટી બસ મોડી ઉપડવાની સૌથી વધુ 108, બસમાં ગંદકીની 83, તૂટેલી સીટ અને ભીડની 41 ફરિયાદ મળી હતી. પેસેન્જરોની સુવિધા માટે નિગમે હાલ તમામ પ્રીમિયમ બસોમાં તમામ સીટ પાછળ ક્યુઆર કોડ લગાવ્યા છે. હાલ અન્ય બસોમાં બસના દરવાજે કે ડ્રાઈવર સીટ પાછળ ક્યુઆર કોડ મૂક્યા છે આગામી દિવસોમાં તમામ બસોમાં સીટ પાછળ આ ક્યુઆર કોડ લગાવાશે. જેનાથી બસમાં સુધારો લાવી શકાશે. ઓનલાઈન બુકિંગ કરનારા ફરિયાદ કરી શકશેનિગમ દ્વારા હવે ઓનલાઈન બુકિંગ કરનારા મુસાફરોના પ્રતિસાદ મેળવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ નવી વ્યવસ્થા હેઠળ, પેસેન્જરની મુસાફરી પૂર્ણ થયા બાદ તેમના મોબાઈલ નંબર પર લિંક મોકલાશે. આ લિંક દ્વારા મુસાફરો બસની સફાઈ, સ્ટાફનું વર્તન, તૂટેલી સીટ કે બસમાં ગંદકી જેવી બાબતો પર પોતાનું રેટિંગ અને મંતવ્ય આપી શકશે. 400થી વધુ ડેપો પર ક્યુઆર કોડ લગાવાશેબસોમાં ક્યુઆર કોડનો પ્રયોગ સફળ રહ્યા બાદ આગામી દિવસોમાં અન્ય બસોમાં તેમજ નિગમના તમામ 400થી વધુ બસ ડેપો પર ક્યુઆર કોડ લગાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કેટલીક વખત તો એસટી બસના ડ્રાઈવરો બસ ખાલી હોવા છતાં પણ ઊભી રાખતા નથી તેમજ પેસેન્જરો સાથે છૂટા પૈસા બાબતે પણ માથાકૂટ કરતા હોય છે. જો બસમાં ગંદકીની ફરિયાદ મળે, તો જે-તે ડેપો પર બસ પહોંચતા જ તેની સફાઈ કરાવીને તેનો ફોટો હેડ ઓફિસમાં મોકલવો પડે છે. STને મળેલી ફરિયાદ ફરિયાદનો પ્રકારસંખ્યા ઉપડવામાં વિલંબ108 બસમાં ગંદકી83 બસમાં દુર્ગંધ60 સ્ટાફનું ખરાબ વર્તન39 તૂટેલી સીટ41 વધુ ભીડ41

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

છેતરપિંડી:ફઈના દીકરાએ દસ્તાવેજના નામે યુવકને 20 લાખનો ચૂનો ચોપડ્યો

શહેરમાં નજીકના સંબંધનો લાભ લઈ વિશ્વાસઘાત કર્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ફઈના દીકરાએ મકાન દસ્તાવેજના બહાને યુવક પાસેથી રૂ.20 લાખ ઉઘરાવી છેતરપિંડી આચરી છે. આ બનાવમાં રૈયા ચોકડી પાસે શિવપરા શેરી નં.6માં રહેતા અને ન્યૂઝ પેપર ડિલિવરીનું કામ કરતા કલ્પેશભાઈ જયંતીભાઈ પરમારે કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ફઈના દીકરા નવીન નીતમલાલ ચાવડાએ મકાનના દસ્તાવેજ માટે તાત્કાલિક નાણાંની જરૂર હોવાનું કહી પ્રથમ રૂ.2 લાખ ઉછીના લીધા હતા, પછી ‘મારે તમારા સિવાય કોઈ નથી’ કહી ઈમોશનલ બ્લેકમેઈલ કરીને અઢી વર્ષના ગાળામાં ટુકડે-ટુકડે કુલ રૂ.20 લાખ રોકડા મેળવી લીધા હતા. વધુમાં, આ બાબત ઘરે ન કહેવા માટે પણ દબાણ કર્યું હતું. જ્યારે કલ્પેશભાઈએ પોતાની રકમ પરત માગતાં નવીને બહાનાબાજી શરૂ કરી હતી. વિશ્વાસ જાળવવા માટે તેણે મકાનની નોટરી પણ કરી આપી હતી, પરંતુ બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, આરોપીએ તે જ મકાન અન્ય વ્યક્તિને વેચી દીધું છે. આ અંગે પૂછતા નવીને કબૂલ્યું હતું કે, મકાન વેચાઈ ગયું છે અને તેની રકમ કોર્ટમાં જમા છે, જે મળ્યા બાદ પરત કરશે. જોકે વકીલ મારફતે નોટિસ મોકલવા છતાં રકમ પરત ન મળતા આખરે કલ્પેશભાઈએ પોલીસનો આશરો લીધો હતો. કુવાડવા રોડ પોલીસે આરોપી વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધ્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

ચૂંટણી:રાજકોટમાં કોંગ્રેસના સૌથી નાના ઉમેદવારની ઉંમર 21 જ્યારે 30 વર્ષથી નાના 4, સિનિયર સિટીઝન 7

કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા છે તેમાં 21 વર્ષના યુવાનને ટિકિટ અપાઈ છે અને સાથે જ 65 વર્ષના સિનિયર સિટીઝનનો પણ સમાવેશ કરાયો છે. આ રીતે જોતા ભાજપના ઉમેદવારો કરતા યુવાન અને વૃદ્ધ બંને વયજૂથ પર કોંગ્રેસે પોતાની પકડ બનાવવા પ્રયાસ કર્યો છે. જ્યારે ઓબીસી અનામતમા પણ ભાજપ કરતા વધુ સમતોલન જાળવી શક્યા છે. કોંગ્રેસના વોર્ડ નં.6ના ઉકેશ ખાંભલિયા 21 વર્ષની વયના સૌથી નાના ઉમેદવાર છે. જ્યારે વોર્ડ નં.3ના દિનેશ મકવાણા 65 વર્ષના સૌથી મોટી ઉંમરના ઉમેદવાર છે. સૌથી વધુ 17 ઉમેદવારની ઉંમર 41થી 45 વર્ષની વચ્ચે છે. 30 વર્ષથી નાના 4 ઉમેદવાર છે અને 60 વર્ષથી મોટા 7 ઉમેદવાર છે. જોકે ભાજપ કરતા સરેરાશ ઉંમરમાં કોંગ્રેસ આગળ છે કારણ કે 51થી વધુના 14 ઉમેદવાર છે જ્યારે ભાજપે 59 વર્ષથી નાના ઉમેદવારો જ પસંદ કર્યા છે. જ્ઞાતિના સમીકરણોમાં આ વખતે ઓબીસી અનામત મહત્ત્વનો મુદ્દો હતો. ઓબીસીમાં આવતા સમાજમાં સમતુલન જાળવવામાં કોંગ્રેસે ધ્યાન આપ્યું છે. ઓબીસીમાં કોળી સમાજની વસતી વધુ છે તેથી તે જ્ઞાતિના 6 ઉમેદવાર છે. જ્યારે આહીર અને ભરવાડ સમાજના 5-5 ઉમેદવાર લીધા છે. ભાજપમાં એકપણ મુસ્લિમ ઉમેદવાર નથી જ્યારે કોંગ્રેસમાં 3ને ટિકિટ અપાઈ છે. લેઉવા પટેલ જ્ઞાતિના સૌથી વધુ 11 ઉમેદવારને કોંગ્રેસે ટિકિટઆપી છે. શુક્લને વિરેન્દ્રસિંહે તુકારો આપ્યો અને મામલો ગરમાયોરાજકોટ મનપાના વોર્ડ નં.7ના ઉમેદવાર નેહલ શુક્લ પ્રચારમાં હતા. આ દરમિયાન ધારાસભ્ય રમેશ ટીલાળાના કાર્યાલયે સંકલનની બેઠક મળી હતી. જેમાં આવવા માટે સંયોજક વિરેન્દ્રસિંહ ઝાલાએ નેહલ શુક્લને ફોન કર્યો હતો. જોકે ફોન પર તુકારો આપ્યો હતો જેથી ઉદ્ધતાઈ હળાહળ લાગી આવતા શુક્લ સીધા કાર્યાલય પહોંચ્યા હતા. ત્યાં જઈને વિરેન્દ્રસિંહને અલગ રૂમમા લઈ ગયા હતા. સાંસદ રૂપાલા આવ્યા ત્યારે દરવાજો ખોલ્યો હતો અને મિટિંગમાં બોલાવવા ઉદ્ધતાઈ કરાયાની અને સમય ન જાળવ્યાની વાત કરી હતી. બંને વચ્ચે આકરી બોલાચાલી થઈ હતી. જોકે બાદમાં સંગઠને બંનેને બેસાડીને સમજાવતા મામલો થાળે પડ્યો હતો. ગ્રેજ્યુએટ સરખા પણ કોંગ્રેસના 18 ઉમેદવાર 10 ચોપડી ભણેલા નથી ભાજપના 30 ઉમેદવાર સ્નાતક છે અને કોંગ્રેસમાં તેની સંખ્યા 29 છે. જોકે ઓછું ભણેલા ઉમેદવારો સૌથી વધુ કોંગ્રેસમાં છે. ભાજપના 12 ઉમેદવાર ધો.10થી ઓછું ભણેલા છે જ્યારે કોંગ્રેસમાં 18 છે. ભાજપના મીનાબા જાડેજા ધો.4 પાસ છે અને કોંગ્રેસમાં દક્ષાબેન મકવાણા પણ ધો.4 પાસ છે. વયજૂથ મુજબ ઉમેદવાર ઉંમર વર્ષ ઉમેદવાર 21 થી 25 01 26 થી 30 03 31 થી 35 03 36 થી 40 15 41 થી 45 17 46 થી 50 09 51 થી 55 10 56 થી 60 07 61 થી 65 07

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

તપાસ:ઔરંગાબાદના વેપારીઓના ત્રાસથી કંટાળી રાજકોટના સોની દંપતીનો કુવાડવા પાસે સજોડે આપઘાતનો પ્રયાસ

રાજકોટના મોરબી રોડ વિસ્તારમાં રહેતા સોની દંપતીએ મહારાષ્ટ્રના ઔરંગાબાદ (સંભાજીનગર)ના વેપારીઓના માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દંપતીએ કુવાડવા નજીક રામધામ મંદિર પાસે ફિનાઇલ ગટગટાવી લીધું હતું. બન્નેને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. મોરબી રોડ પર આવેલા જે.કે. એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલભાઈ હરકિશનભાઈ ઝીંઝુવાડિયા (ઉ.વ.41) અને તેમની પત્ની પૂજાબેન (ઉ.વ.39) એ મંગળવારે રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં આ આત્મઘાતી પગલું ભર્યું હતું. મહત્ત્વની બાબત એ છે કે, આ પગલું ભરતા પહેલાં વિશાલભાઈએ પોતાના બનેવીને વોટ્સએપ પર લાંબી સ્યૂસાઇડ નોટ મોકલી હતી. જેના આધારે પરિવારજનો તુરંત જ લોકેશન પર પહોંચી ગયા અને બન્નેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્યૂસાઇડ નોટમાં વિશાલભાઈએ ઉલ્લેખ કર્યો છે કે, તેઓ છેલ્લા દસ વર્ષથી ઔરંગાબાદ ખાતે ‘અંકિત જ્વેલર્સ’ ચલાવતા આતિશ સવાઈવાલા અને મચ્છુભાઈ સાથે ધંધાકીય વ્યવહારમાં હતા. દરમિયાન આતિશ અને તેના સાગરીતોએ વિશાલભાઈનું રાજકોટમાંથી અપહરણ કરી બગોદરા સુધી લઈ જઈ તેમને બળજબરીપૂર્વક સોનું આપવાનું બાંહેધરીનામું લખાવી લીધું હતું. વધુમાં તેમણે લખ્યું છે કે, અગાઉ બંગાળી કારીગર હારૂન શેખ તેમની પાસેથી સોનું લઈ ફરાર થઈ ગયો હતો, જેના સંબંધમાં એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. છતાં આરોપીઓ દ્વારા વિશાલભાઈ પાસે 2 કિલો સોનાની જબરદસ્તી માગણી કરી સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. છેલ્લા ત્રણ દિવસથી ભારે તણાવમાં રહેલા વિશાલભાઈ ઘરેથી નીકળી ગયા હતા. દરમિયાન પત્ની પૂજાબેન તેમને અમદાવાદમાંથી લઈ પરત ફરી રહ્યા હતા ત્યારે આ આત્મઘાતી પગલું ભરાયું હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

32 યુનિ.ને યુજીસીએ બોગસ જાહેર કરી:ધો.12 પછી બીજા રાજ્યમાં ભણવા જતા વિદ્યાર્થીઓ ચેતજો, UGCએ 32 બોગસ યુનિ.નું લિસ્ટ જાહેર કર્યું

ધોરણ-12નું પરિણામ હવે આવવાની તૈયારીમાં છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ કારકિર્દીના સપના જોવામાં મશગૂલ છે. ખાસ કરીને જે વાલીઓ પોતાના સંતાનોને બીજા રાજ્યમાં ભણવા મોકલવા માગે છે અથવા ‘એક્સટર્નલ’ કોર્સ માટે યુનિવર્સિટી શોધી રહ્યા છે, તેમના માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. દેશભરમાં 32 જેટલી એવી યુનિવર્સિટીઓ ધમધમી રહી છે જે વાસ્તવમાં ‘બોગસ’ છે અને તેમની પાસે ડિગ્રી આપવાની કોઈ જ સત્તા નથી. UGC એ સ્પષ્ટ તાકીદ કરી છે કે, જો કોઈ વિદ્યાર્થી આ 32 પૈકીની એક પણ સંસ્થામાંથી અભ્યાસ કરશે તો તેની મહેનત, સમય અને લાખોની ફી પાણીમાં જશે. યુજીસી અધિનિયમ 1956 મુજબ, ડિગ્રી આપવાનો અધિકાર માત્ર એવી જ સંસ્થાઓને છે જે કેન્દ્ર કે રાજ્ય સરકારના નિયમો હેઠળ સ્થાપિત હોય. આ નકલી સંસ્થાઓ દ્વારા અપાતી ડિગ્રી ગેરકાયદેસર હોવાથી ઉચ્ચ શિક્ષણ કે સરકારી-ખાનગી નોકરીઓ માટે માન્ય રહેશે નહીં. દિલ્હીની જે સંસ્થાઓથી વિદ્યાર્થીઓને વાલીઓએ દૂર રહેવું જોઈએ તેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, વિશ્વકર્મા ઓપન યુનિવર્સિટી, કોમર્શિયલ યુનિવર્સિટી લિમિટેડ અને વોકેશનલ યુનિવર્સિટી જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ જાણકારીના અભાવે આવી નકલી જાળમાં ફસાઈને પોતાનું ભવિષ્ય જોખમમાં મૂકે છે. માટે, એડમિશન પહેલાં માત્ર કોલેજનું બિલ્ડિંગ નહીં, પણ તેની માન્યતા જોવી વધુ જરૂરી છે. ક્યાં રાજ્યમાં કેટલી બોગસ યુનિવર્સિટી, ગુજરાતમાં એકપણ નથી રાજ્ય યુનિવર્સિટી દિલ્હી 12 ઉત્તર પ્રદેશ 04 પશ્ચિમ બંગાળ 02 આંધ્રપ્રદેશ 02 મહારાષ્ટ્ર 02 કર્ણાટક 02 કેરળ 02 પોંડીચરી 02 અરુણાચલ પ્રદેશ 01 હરિયાણા 01 રાજસ્થાન 01 ઝારખંડ 01 એડમિશન લેતા પહેલાં આ 6 મુદ્દા તપાસો 1 UGC લિસ્ટ ચેક કરો | સૌથી પહેલા UGCની વેબસાઈટ પર જઈ ‘ફેક યુનિવર્સિટી’ની યાદીમાં નામ તપાસો. 2 સ્ટેચ્યુટરી બોડી | ટેક્નિકલ કોર્સ માટે AICTE અને મેડિકલ માટે NMC ની મંજૂરી છે કે નહીં તે ખાસ જુઓ. 3 ડિગ્રીનું નામ | સંસ્થા જે ડિગ્રી આપે છે તે UGCના ગેઝેટ મુજબ માન્યહોવી જોઈએ, મનઘડંત નામવાળાકોર્સથી બચો. 4 સરકારી પોર્ટલ | શંકા હોય તો Academic Bank of Credits પોર્ટલ પર તે યુનિવર્સિટી રજિસ્ટર્ડ છે કે નહીં તે ચકાસો. 5 લોભામણી ઓફર | ‘બે વર્ષમાં ડિગ્રી’ કે ‘પરીક્ષા વગર પાસ’ જેવી લાલચ આપતી સંસ્થાઓ સો ટકા બોગસ હોય છે. 6 ફીની રસીદ | એડમિશન સમયે લેવામાં આવતી ફીની અધિકૃત રસીદ માગો અને તેમાં યુનિવર્સિટીનું નામ અને રજિસ્ટ્રેશન નંબર ચેક કરો. UGCએ તાકીદ કરી કે જો કોઈ વિદ્યાર્થી 32 પૈકીની કોઈ સંસ્થામાં અભ્યાસ કરશે તો તેની મહેનત, સમય અને ફી પાણીમાં જશે

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

પરિણામ:CBSEનું અજમેર રિજિયનનું 94.78 ટકા પરિણામ, રાજકોટના 6 હજાર વિદ્યાર્થી પાસ

સીબીએસઈ (CBSE) દ્વારા બુધવારે ધોરણ-10ના પરિણામો જાહેર કરવામાં આવતા લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. આ વર્ષે ફરી એકવાર પરિણામોમાં દીકરીઓએ દીકરાઓને પાછળ છોડી દીધા છે. દેશભરમાં કુલ 93.70% વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જેમાં દીકરીઓનું પરિણામ 94.99% રહ્યું છે, જ્યારે 92.69% દીકરાઓ સફળ રહ્યા છે. રંગીલા રાજકોટમાં આ વર્ષે CBSE ધોરણ-10ની પરીક્ષામાં આશરે 6 હજાર વિદ્યાર્થીઓ પાસ થયા હોવાનું જાણવા મળ્યું છે. પરિણામ જાહેર થતાની સાથે જ શાળાઓ અને ઘરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ પોતાનું પરિણામ જોવા માટે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ભારે ધસારો કર્યો હતો. CBSE બોર્ડના ઝોન વાઈઝ પરિણામો પર નજર કરીએ તો, ગુજરાત રાજ્ય જે અજમેર રિજિયન હેઠળ આવે છે તેનું પરિણામ 94.78% નોંધાયું છે. રાષ્ટ્રીય સરેરાશ (93.70%) કરતા અજમેર રિજિયનનું પરિણામ ઊંચું રહેતા ગુજરાતના વિદ્યાર્થીઓનો દબદબો જોવા મળ્યો છે. CBSE બોર્ડની પરંપરા મુજબ આ વર્ષે પણ કોઈ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી નથી કે કોઈને ટોપર જાહેર કરાયા નથી. બોર્ડે તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને સખત સૂચના આપી છે કે કોઈ પણ બાળકને શાળા કે જિલ્લાના ‘ટોપર’ તરીકે જાહેર ન કરવા. આ નિર્ણય વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ ઘટાડવા માટે લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત બોર્ડનું પરિણામ મે મહિના પ્રથમ વિકમાં ધોરણ-12 સાયન્સનું અને માસાંતે ધોરણ-10નું પરિણામ જાહેર કરાય તેવી સંભાવના છે. અહીંથી જોઈ શકાશે પરિણામવિદ્યાર્થીઓ પોતાનો રોલ નંબર, સ્કૂલ નંબર અને એડમિટ કાર્ડ આઈડીનો ઉપયોગ કરીને નીચેના માધ્યમોથી પરિણામ મેળવી શકે છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ cbse.gov.in અને cbseresults.nic.in પર પરિણામ જોઈ શકે છે. સાથે સાથે મોબાઇલ એપ ડીજી લોકર અને ઉમંગ એપ પર પણ ડિજિટલ માર્કશીટ ઉપલબ્ધ છે. રાજકોટની વિવિધ શાળાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું ફૂલહાર અને મીઠાઈ ખવડાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

પોલીસ બેડામાં સન્નાટો:રાજકોટના ઘંટેશ્વર ગ્રૂપ માં 10 મહિનાથી ફરજ પરથી ગુમ SRP કોન્સ્ટેબલ દારૂનો મોટો જથ્થો ઘુસાડતાં ઝડપાયો

રાજકોટ શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસના નાક નીચે જ થતી ગેરકાયદે પ્રવૃત્તિનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેર પોલીસની પીસીબી (PCB) શાખાએ કુવાડવા રોડ પરથી સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એસઆરપી (SRP) ગ્રૂપ-13ના જવાનને ઝડપી પાડતા પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે. પોલીસે વોચ ગોઠવી કાર આંતરીપીસીબીને બાતમી મળી હતી કે સિલ્વર કલરની સ્વિફ્ટ કાર (GJ-19-AA-2948)માં દારૂનો જથ્થો રાજકોટમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. જૂના કુવાડવા પોલીસ સ્ટેશન પાસે વોચ ગોઠવી પોલીસે કારને આંતરી હતી. તલાશી લેતા કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 384 બોટલ (કિંમત રૂ. 1.30 લાખ) મળી આવી હતી. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ. 2.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. 10 મહિનાથીનોકરી પર ગયો નહોતોપકડાયેલ આરોપી બાલુભા રાજાભા બળદા (ઉં.વ. 36, રહે. ગોંડલ રોડ) ઘંટેશ્વર એસઆરપી કેમ્પમાં હથિયારધારી જવાન તરીકે ફરજ બજાવે છે. ચોંકાવનારી વિગત એ છે કે, આ જવાન છેલ્લા 10 મહિનાથી પોતાની નોકરી પર હાજર થયો નહોતો અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયો હતો. શિસ્તબદ્ધ ગણાતી ફોર્સનો જવાન જ દારૂના ધંધામાં પકડાતા ઉચ્ચ અધિકારીઓએ આ મામલે ખાતાકીય તપાસના પણ આદેશ આપ્યા છે. સાયલાના સપ્લાયરનું નામ ખુલ્યુંઆરોપીની આકરી પૂછપરછમાં સામે આવ્યું કે, આ જથ્થો તે સાયલા નજીક એક મારવાડી શખ્સ પાસેથી લાવ્યો હતો. લિમ્બડી-રાજકોટ હાઈવે પર પોલીસની નજરથી બચવા માટે તેણે ‘પોલીસ’ હોવાનો રોફ જમાવ્યો હોવાની પણ શક્યતા છે. હાલ પોલીસે સપ્લાયરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જે રક્ષક જ ભક્ષક બને તેવા કિસ્સાએ શહેરભરમાં ચર્ચા જગાવી છે. અગાઉ પણ દારૂના કેસમાં પોલીસકર્મીઓના નામ ઉછળ્યા છે, ત્યારે આ કેસમાં કયા મોટા ગજાના બુટલેગરના તાર જોડાયેલા છે તે દિશામાં તપાસ લંબાવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

પ્રક્રિયામાં વિલંબથી રોષ:અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશન માટે બેંકની બહાર લાઈન લાગી

અમરનાથ યાત્રા 2026 માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થતા જ રાજકોટમાં ભારે અંધાધૂંધી સર્જાઈ હતી. જિલ્લા પંચાયત ચોક સ્થિત યસ બેંક અને રામકૃષ્ણનગરમાં આવેલી પંજાબ નેશનલ બેંક (PNB) બહાર રાત્રે 12 વાગ્યાથી જ ભાવિકોની લાંબી કતારો લાગી હતી. જોકે, કલાકો સુધી બેંકમાં પ્રક્રિયા શરૂ ન થતાં લોકોનો સંયમ ખૂટ્યો હતો. ભારે ગરમીમાં અટવાયેલા લોકોએ આક્ષેપ કર્યો હતો કે, બેંકના કર્મચારીઓ જાણીજોઈને વિલંબ કરી રહ્યા છે. 12-14 કલાકથી લાઈનમાં ઊભા હોવા છતાં યોગ્ય પ્રતિસાદ ન મળતા શ્રદ્ધાળુઓએ બેંક બહાર જ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વહીવટી તંત્રની અવ્યવસ્થા સામે રોષ વ્યક્ત કરતા લોકોએ જણાવ્યું હતું કે, આટલી મોટી યાત્રાના રજિસ્ટ્રેશન માટે પૂરતી સુવિધા ન હોવાથી વડીલો અને મહિલાઓને ભારે હાલાકી વેઠવી પડી છે. સ્થાનિક પોલીસ પણ પરિસ્થિતિ થાળે પાડવા દોડી ગઈ હતી. આ વર્ષે અમરનાથ યાત્રા 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી એટલે કે 39 દિવસ સુધી ચાલશે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

ધરપકડ:રાજકોટના પોશ વિસ્તારમાંથી દેશી પિસ્તોલ સાથે મહિલાને ઝડપી લેવાઇ

રાજકોટના પોશ વિસ્તાર ગણાતા કાલાવડ રોડ પર ગેરકાયદે હથિયાર છુપાવી રાખવામાં આવ્યું હોવાની બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (SOG) ની ટીમે દરોડો પાડી એક મહિલાને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડી છે. પ્રાથમિક તપાસમાં આ હથિયાર પાલનપુરનો એક હિસ્ટ્રીશીટર સાચવવા આપી ગયો હોવાનો ખુલાસો થતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. SOG ના એએસઆઇ ફિરોઝ રાઠોડે ડીસીબી (DCB) પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે કાલાવડ રોડ પર રતન વિલાસ પેલેસની સામે આવેલી આદિત્ય 79 હાઉસિંગ કો-ઓપરેટિવ સર્વિસ સોસાયટીના બ્લોક નં.108માં રહેતી અફરોજ ઉર્ફે ફરીન ઇલિયાસ આરબિયાણી નામની મહિલા પાસે ગેરકાયદે હથિયાર છે. આ બાતમીના આધારે SOGની ટીમે મહિલાના મકાનમાં અચાનક છાપો માર્યો હતો. ઘરની તલાશી લેતા અંદરથી એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. પાલનપુરના શખ્સ સામે પણ ગુનો નોંધાયોપોલીસની આકરી પૂછપરછમાં આરોપી અફરોજ ઉર્ફે ફરીને કબૂલાત આપી હતી કે, આ પિસ્તોલ પાલનપુરનો અઝહરખાન પઠાણ નામનો શખ્સ તેને સાચવવા માટે આપી ગયો હતો. આ ખુલાસા બાદ પોલીસે અફરોજ અને અઝહરખાન પઠાણ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી, ફરાર અઝહરખાનને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો રવાના કરી છે. મહિલા પાલનપુરમાં ડ્રગ્સ સાથે પકડાઈ હતીપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશી પિસ્તોલ સાથે ઝડપાયેલી મહિલા અફરોજ ઉર્ફે ફરીન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. વર્ષ 2021-22માં પાલનપુરમાં તેની સામે NDPS (ડ્રગ્સ) નો ગુનો નોંધાઈ ચૂક્યો છે. તે પાલનપુરના હિસ્ટ્રીશીટર અઝહરખાન પઠાણ સાથે જૂનો સંપર્ક ધરાવતી હોવાથી, અઝહરખાને વિશ્વાસ રાખીને આ પિસ્તોલ તેને સંતાડવા માટે આપી હોવાની કબૂલાત મહિલાએ કરી છે. આ હથિયાર ક્યા ઈરાદાથી રાજકોટ લવાયું હતું અને આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

ડમી ડ્યૂટીકાંડ:તપાસ સમિતિનો રિપોર્ટ તૈયાર, હવે લેવાશે પગલાં

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં રેસિડેન્ટ તબીબ પોતે ડ્યૂટી કરવાને બદલે અન્ય વ્યક્તિઓને ડમી તરીકે રાખે છે. આ બદલ તેને પ્રતિ દિવસના 500 રૂપિયા આપે છે અને દર્દીઓના જીવ જોખમમાં મુકાય છે. આ કૌભાંડ દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કર્યું હતું જેમાં ડો.આર્યન પટેલે હોમિયોપેથીના વિદ્યાર્થીને ડમી તરીકે રાખ્યો હતો. આ મામલે તપાસ પૂર્ણ થતા હવે અધિક્ષકના ટેબલ પર રિપોર્ટ મુકાયો છે. દિવ્ય ભાસ્કરના પર્દાફાશ બાદ તબીબી અધિક્ષક ડો.મોનાલી માકડિયાએ તુરંત જ એક તપાસ સમિતિની રચના કરી હતી. આ સમિતિને ફક્ત 24 કલાકનો જ સમય આપ્યો હતો અને તે જ સમયમાં તપાસ પૂરી કરીને રિપોર્ટ આપવાનો હતો. સમિતિએ તપાસ પૂર્ણ કરી અહેવાલ આપી દીધો છે. આ મામલે તબીબી અધિક્ષક ડો.માકડિયાએ જણાવ્યું હતું કે, તપાસનો રિપોર્ટ આવી ગયો છે તેનો અભ્યાસ બાકી છે ત્યારબાદ નિર્ણય લેવાશે. રાજકોટ સિવિલમાં દાખલ થતા દર્દીઓમાં મૃત્યાંક ઊંચો હોય છે. જેમાં એક પરિબળ આ પણ છે કે તબીબો પોતે ડ્યૂટી કરવાને બદલે બીજાને ડમી તરીકે રાખે છે જેમાં હોમિયોપેથીના વિદ્યાર્થીઓ ખાસ છે. હોમિયોપેથીમાં ઈન્જેક્શન આપવા કે બાટલા ચડાવવા જેવી કોઇ સર્જિકલ સારવાર આપવાની હોતી નથી. જોકે હોમિયોપેથી હોય તેને પણ ડોક્ટર જ કહેવાય છે અને આવા વિદ્યાર્થીને જો ઈન્જેક્શન આપતા કે પછી બાટલા ચડાવતા આવડે તો તે ગમે ત્યાં સીધા ક્લિનિક ખોલી શકવા સક્ષમ બની જાય છે પણ તેના પ્રયોગ દર્દીઓ પર થાય છે. મેડિકલનો અભ્યાસ કર્યા વગર આવા વિદ્યાર્થીઓ દર્દીઓને લેબોરેટરીના ઉંદર અને દેડકા સમજી શીખવા માટે પ્રયોગો કરે છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

રાજકોટ રૂરલ પોલીસ ફરી ઊંઘતી રહી ગઈ:SMCના પૂર્વ વડાની રેન્જમાં SMCનો દરોડો લોધિકા પાસેથી રૂ.11.16 લાખનો દારૂ પકડાયો

રાજકોટ રૂરલ પોલીસને વધુ એક વખત અંધારામાં રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે મોટો સપાટો બોલાવ્યો છે. રાજકોટની ભાગોળે આવેલા માખાવડ ગામની સીમમાં એક ખેતરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો હોવાની બાતમીના આધારે SMCની ટીમે ત્રાટકીને રૂ.11.16 લાખના દારૂના જથ્થા સાથે એક શખ્સને રંગે હાથ ઝડપી લીધો હતો. જ્યારે આ નેટવર્ક ચલાવનાર મુખ્ય બૂટલેગર ઉમંગ કાનાણી સહિતના અન્ય શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને પડેલા આ દરોડાથી બૂટલેગરો અને પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. 5 હજારની લાલચમાં 7થી 8 વાર પાઇલોટિંગ કર્યુંપોલીસની આકરી પૂછપરછમાં આરોપી અજયે કબૂલાત કરી હતી કે, મવડીમાં ઉમિયા ચોક પાસે રહેતા ઉમંગ કાનાણી (મૂળ રહે. ગેલાણા, તા. કેશોદ) એ પંદર દિવસ પહેલાં તેને એક વખતના રૂ.5 હજાર આપવાની લાલચ આપી પાઇલોટિંગ કરવાનું કહ્યું હતું. 10 દિવસ પહેલા ઉમંગે તેને આ વાડી બતાવી હતી. આજે આ દારૂનો જથ્થો મવડી બાપા સીતારામ ચોક ખાતે પહોંચાડવાનો હતો, પરંતુ તે પાઇલોટિંગ કરવા વાડીએ પહોંચે તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. અજયે અગાઉ પણ 7થી 8 વખત ઉમંગની દારૂ ભરેલી ગાડીઓનું પાઇલોટિંગ કર્યાની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ઊઠી છે. હાલ પોલીસે અજય ભરડા, ઉમંગ કાનાણી, બહારથી દારૂ મોકલનાર અને રાજકોટમાં દારૂ મગાવનાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાઇક લઇને પાઇલોટિંગ કરતો શખ્સ દેખાયો અને તરત જ ઝડપી લેવાયોગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના સંજય વરજાંગભાઇ ચાવડાએ લોધિકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે માખાવડથી સાંગણવા જવાના રોડ પર બિલીપત્ર ફાર્મથી આગળ રોડની જમણી બાજુ આવેલી લોખંડના દરવાજાવાળી વાડીમાં ઉમંગ કાનાણી (પટેલ) નામના શખ્સે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી વાડીની ઓરડીમાંથી 61 પેટી અને 7 છૂટી બોટલ મળી કુલ 739 બોટલ (કિંમત રૂ.11,16,000) વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. આ દરમિયાન વાડીમાં બાઇક લઈને આવેલા એક શખ્સને કોર્ડન કરી પકડી પાડવામાં આવ્યો હતો. પૂછપરછમાં તેણે પોતાનું નામ અજય રમેશ ભરડા (મૂળ રહે. ભાટસીમરોલી, તા.કેશોદ, હાલ રહે. ઉમિયા ચોક નજીક, મવડી, રાજકોટ) હોવાનું જણાવ્યું હતું. વાડીના માલિકની ભૂમિકા શંકાસ્પદ!વાડીના માલિકને તેડું મોકલતા પાળ ગામે રહેતો ગેરેજ સંચાલક કિશોર નાગજી વસોયા હાજર થયો હતો. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, થોડા સમય પહેલા જ તેણે સરવે નં.454ની આ જમીન નિખિલ સોરઠિયા પાસેથી ખરીદી હતી. જોકે, ઓરડીનો કબજો અને તેની ચાવી હજુ પણ જૂના માલિક નિખિલ સોરઠિયા પાસે જ રહેતી હતી. જેથી પોલીસે નિખિલને તપાસ અર્થે તેડું મોકલ્યું છે. તપાસ પડધરી PI ચૌહાણને સોંપાઈલોધિકા તાલુકાના માખાવડ ગામે પકડાયેલા વિદેશી દારૂના આ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) નો દરોડો હોવાથી સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. આથી, જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરે આ કેસની તટસ્થ તપાસ થાય તે હેતુથી સમગ્ર બનાવની તપાસ પડધરી PI એમ.જે. ચૌહાણને સોંપી છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

રાજકોટ મનપા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ:236 મુરતિયા મેદાને, બાજી હવે 9,85,952 મતદારના હાથમાં

રાજકોટ મહાનગરપાલિકા સહિત રાજ્યભરમાં આગામી તા.26મીને રવિવારના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે માત્ર 10 દિવસ બાકી રહ્યા છે, ત્યારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણીનું ફાઇનલ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ફોર્મ ચકાસણીના અંતે 242 ફોર્મ માન્ય રહ્યા હતા. જેમાંથી 6 ઉમેદવારે પોતાના ફોર્મ પાછા ખેંચી લેતા હવે કુલ 236 ઉમેદવાર ચૂંટણી જંગમાં અંતિમ લડાઈ લડશે. રાજકોટમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે, જેમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના 72-72 ઉમેદવાર મેદાનમાં છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP)ના 69 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. મતગણતરીની તૈયારી;હોલમાં 14 ટેબલ, 3 નો સ્ટાફ રખાશેઆગામી તા.26મીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાયા બાદ તા.28મી મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણીપંચની સૂચના મુજબ મતગણતરી કેન્દ્રમાં વધુમાં વધુ 14 ટેબલ અને પ્રત્યેક ટેબલ પર 3 કર્મચારીઓનો સ્ટાફ તૈનાત રાખવામાં આવશે અને મતગણના કેન્દ્રમાં ટોચના અધિકારી તમામ પર નજર રાખશે. 12 પુરાવા માન્ય; 3 વોર્ડમાં બે-બે EVM મુકાશેવોર્ડ નં. 4, 13 અને 15માં ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી મતદાન મથકો પર બે-બે EVM મશીનો ગોઠવવાની નોબત આવી છે. ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ, જો મતદાર પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ સહિતના 12 જેટલા વૈકલ્પિક પુરાવાઓમાંથી કોઈપણ એક રજૂ કરીને મતદાન કરી શકાશે. પસંદગીના ઉમેદવારને મત આપ્યા બાદ પીળું બટન દબાવવું ફરજિયાતઆ વખતે મતદાન પ્રક્રિયામાં ખાસ ફેરફાર કરાયો છે. મતદાતા ઈચ્છે તો આખી પેનલને અથવા અલગ-અલગ પક્ષના પસંદગીના 4 ઉમેદવારોને મતાધિકાર આપી શકશે. ઉમેદવારોની પસંદગી કર્યા બાદ EVM માં નીચે આપેલું પીળા રંગનું ‘રજિસ્ટર’ બટન દબાવવું ફરજિયાત છે, તો જ મત માન્ય ગણાશે. 18 વોર્ડના 1014 મતદાન મથક પર દરેક મતદારને મતદાન માટે 1 મિનિટનો સમય અપાશે. દરેક EVM માં ‘નોટા’ સહિત 15 બટન હશે, અને આ વખતે વીવીપેટનો ઉપયોગ થશે નહીં. સમીકરણો બદલાયા;‘આપ’ના 6 ઉમેદવારે અચાનક ફોર્મ પરત ખેંચ્યા!ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે બપોરના 2 વાગ્યા સુધીમાં વોર્ડ નં.15માંથી ‘આપ’ના ઉમેદવાર લાખાભાઈ મોરડિયાએ પોતાની દાવેદારી પરત ખેંચી લીધી હતી. આ ઉપરાંત વોર્ડ નં.13માં રાજેશ મૈયડ નામના અપક્ષ ઉમેદવાર, વોર્ડ નં.15માં 2 અપક્ષ, જ્યારે વોર્ડ 16 અને 18માં 1-1 અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લેતા કુલ 6 ઉમેદવાર ચૂંટણી જંગમાંથી બહાર થઈ ગયા છે. નવા આંકડા મુજબ હવે ‘આપ’ના વોર્ડ નં.2માં 3 ઉમેદવારો અને વોર્ડ નં.15માં માત્ર 2 જ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. ક્યા વોર્ડની મતગણતરી ક્યાં થશે? વોર્ડ 1 થી 3 : પાંધી કોલેજ (ડિસ્પેચિંગ/રિસિવિંગ પણ અહીં જ) વોર્ડ 4 થી 6 : ચૌધરી હાઈસ્કૂલ વોર્ડ 7 થી 9 : વિરાણી હાઈસ્કૂલ વોર્ડ 10 થી 12 : એવીપીટી કોલેજ વોર્ડ 13 થી 15 : જસાણી હાઈસ્કૂલ, ગોંડલ રોડ વોર્ડ 16 થી 18 : રણછોડદાસ બાપુ કોમ્યુનિટી હોલ. આ ઉપરાંત રાજકોટ તાલુકા પંચાયતની 22 અને જિલ્લા પંચાયતની 6 બેઠકની મતગણતરી ભાવનગર રોડ સ્થિત સરકારી પોલિટેક્નિક ખાતે, જ્યારે પડધરી, લોધિકા અને કોટડાસાંગાણીની મતગણતરી પડધરી સરકારી કોલેજ ખાતે હાથ ધરાશે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

12.70 લાખના સોનાના ઘરેણા 100% રિકવર:બાલુપુરમાં નિવૃત પોલીસના ઘરે ચોરી કરનાર સંબંધી જ નીકળ્યા

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બાલપુર ગામમાં થયેલી ઘરફોડ ચોરીનો વ્યારા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડી 100% મુદ્દામાલ રીકવર કરવામાં સફળતા મેળવી છે. પોલીસે કુલ રૂ. 12.70 લાખના સોનાના ઘરેણા કબ્જે કર્યા છે. બાલપુર ગામના નિશાળ ફળિયામાં રહેતા લીમજીભાઈ રડતીયાભાઈ ગામીતના ઘરે તા. 08/04/2026ના રોજ અજાણ્યા ચોરે પ્રવેશ કરી તિજોરીમાંથી સોનાના મંગળસૂત્ર, પાટલા, ચેન સહિત કુલ રૂ. 12.50 લાખના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે વ્યારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ફરીયાદીના નજીકના સગા દિવ્યાબેન અને તેના પતિ અનિલભાઈ ગામીતને શંકાના આધારે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રૂ. 3.70 લાખના સોનાના ઘરેણા અને મોબાઇલ મળ્યા હતા. વધુ પૂછપરછમાં આરોપીઓએ બાકી ઘરેણા પર ગોલ્ડ લોન લીધાની કબૂલાત કરતા પોલીસે રૂ. 9 લાખના બાકીના ઘરેણા પણ કબ્જે કર્યા હતા. આ રીતે પોલીસે કુલ રૂ. 12.70 લાખનો મુદ્દામાલ રીકવર કરી ચોરીનો સંપૂર્ણ ભેદ ઉકેલી દીધો હતો. સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. રાવલના માર્ગદર્શન હેઠળ સેકન્ડ પો.ઈન્સ.ડૉ.જાગૃત જોષી તથા પોલીસ સ્ટાફની ટીમે અંજામ આપી હતી.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

આયોજન:પોરબંદરમાં અગ્નિશામક સેવા દિન નિમિત્તે વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી રેલી યોજી

દર વર્ષે 14 એપ્રિલે સમગ્ર દેશમાં અગ્નિશામક સેવા દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ 1944માં મુંબઈ ડોકયાર્ડ ખાતે એસ.એસ. ફોર્ટ સ્ટાઈકીન નામના જહાજમાં થયેલી ભયંકર આગ અને વિસ્ફોટની દુર્ઘટનાની યાદમાં મનાવવામાં આવે છે. આ દુર્ઘટનામાં મુંબઈ ફાયર બ્રિગેડના 66 બહાદુર જવાનોએ પોતાના પ્રાણોનું બલિદાન આપી લોકોના જાન-માલની રક્ષા કરી હતી, જ્યારે 300થી વધુ નિર્દોષ નાગરિકોએ પણ જીવ ગુમાવ્યો હતો. આ કરુણ ઘટનાની સ્મૃતિમાં અને દેશભરના અગ્નિશામક જવાનોના પરાક્રમને સન્માન આપવા પોરબંદર મનપાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ વિભાગ દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, ફાયર વિભાગના ઈમરજન્સી વાહનો સાથે શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય જનજાગૃતિ રેલી યોજાઈ હતી. રેલી દરમિયાન નાગરિકોને આગથી બચાવના ઉપાયો, સુરક્ષા નિયમો અને આગ લાગ્યે કરવાના તાત્કાલિક પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ફાયર સર્વિસની મહત્વતા અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે અગ્નિશામક જવાનો દિવસ-રાત પોતાની ફરજ બજાવીને લોકોના જીવન અને સંપત્તિની રક્ષા કરે છે. આવા પ્રસંગો દ્વારા તેમના પરાક્રમ અને બલિદાનને યાદ કરવાથી સમાજમાં સુરક્ષા અંગે જાગૃતિ વધુ મજબૂત બને છે. ઉપસ્થિત સૌએ દેશના વીર શહીદ અગ્નિશામક જવાનોને શત્-શત્ નમન કરીને તેમની આત્મશાંતિ માટે પ્રાર્થના કરી હતી.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:30 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઈરાનની ત્રણ દરિયાઈ માર્ગો બંધ કરવાની ધમકી, વિપક્ષ લોકસભાની બેઠકો વધારવાના વિરોધમાં; આપના મહિલા ઉમેદવારને ખરીદવાનો પ્રયાસ

નમસ્તે, ઈરાને 3 દરિયાઈ માર્ગો બંધ કરવાની ધમકી આપી છે. બીજી તરફ, સમ્રાટ ચૌધરી બિહારના 24મા મુખ્યમંત્રી બન્યા છે. તેઓ એકલા 29 વિભાગો સંભાળશે. અમે તમને આગળ જણાવીશું કે આખરે વિપક્ષ લોકસભામાં બેઠકો વધારવાના પ્રસ્તાવનો વિરોધ કેમ કરી રહ્યો છે… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સંસદનું વિશેષ સત્ર શરૂ થશે. આ દરમિયાન મહિલા અનામત અને સીમાંકન સાથે જોડાયેલા બિલ રજૂ કરવામાં આવશે. 2. દેશની રાજધાની દિલ્હીમાં વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થશે. કાલના મોટા સમાચારો 1. ઈરાનની 3 સમુદ્રી રસ્તાઓ બંધ કરવાની ધમકી:કહ્યું- હોર્મુઝમાં નાકાબંધી ચાલુ રહેશે તો લાલ સમુદ્ર, ઓમાન સાગર અને પર્શિયન ગલ્ફમાં વેપાર અટકાવીશું ઈરાને વિશ્વના 3 મહત્વપૂર્ણ સમુદ્રી રસ્તાઓ બંધ કરવાની ધમકી આપી છે. તેણે જણાવ્યું છે કે જો અમેરિકા હોર્મુઝ અને તેના બંદરો પર નાકાબંધી ચાલુ રાખશે, તો તે રેડ સી, ઓમાન સાગર અને પર્સિયન ગલ્ફ (ફારસની ખાડી) માં સમુદ્રી વેપાર સંપૂર્ણપણે અટકાવી દેશે. ઈરાની સેનાના સેન્ટ્રલ કમાન્ડ સેન્ટરના ચીફ અલી અબ્દોલ્લાહીએ જણાવ્યું કે, અમેરિકી પ્રતિબંધો અને ઈરાની જહાજો તેમજ ઓઈલ ટેન્કરોની સુરક્ષાને જોખમમાં મૂકવાના પ્રયાસો એ ઉશ્કેરણીજનક કાર્યવાહી છે. તેમણે ઉમેર્યું કે ઈરાન પોતાની સાર્વભૌમત્વ અને રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે નિર્ણાયક પગલાં લેશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ગૃહ સહિત 29 વિભાગ સંભાળશે CM સમ્રાટ ચૌધરી:JDU પાસે 18 વિભાગ, મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ સમ્રાટે નીતિશના ચરણ સ્પર્શ કર્યા સમ્રાટ ચૌધરી બિહારના 24માં મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ સૈયદ અતા હસનૈને લોકભવનમાં સવારે 11 વાગ્યે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. બિહારની નવી સરકારમાં જેડીયુમાંથી વિજય ચૌધરી અને બિજેન્દ્ર યાદવે પણ શપથ લીધા. બંનેને ડેપ્યુટી CM બનાવવામાં આવ્યા છે. નીતિશ કુમાર આ કાર્યક્રમમાં હાજર હતા. બિહારમાં હજુ મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવી નથી. સમ્રાટ ચૌધરી પાસે ગૃહ સહિત 29 વિભાગ રહેશે. વિજય ચૌધરીને 10 અને બિજેન્દ્ર યાદવને 8 વિભાગ મળ્યા છે. મંત્રીમંડળના વિસ્તરણ પછી આ જ વિભાગો બાકીના મંત્રીઓમાં વહેંચાશે. ત્યાં સુધી ત્રણેય મંત્રીઓ જ તેમની જવાબદારી સંભાળશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. લોકસભામાં બેઠકો વધારવાના બિલનો વિરોધ કરશે વિપક્ષ:મીટિંગ પછી ખડગે બોલ્યા- મહિલા અનામતનું સમર્થન પરંતુ સીમાંકનનું નહીં લોકસભામાં બેઠકો વધારવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવનો વિપક્ષ વિરોધ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે વિપક્ષી નેતાઓ સાથેની બેઠક પછી આ વાત કહી. બેઠક ખડગેના ઘરે થઈ હતી, જેમાં રાહુલ ગાંધી અને ટીએમસી, આરજેડી, શિવસેના (યુબીટી), એનસીપી (શરદ જૂથ) અને AAP નેતાઓ પણ સામેલ થયા હતા. ખડગેએ કહ્યું કે અમે મહિલા અનામતની વિરુદ્ધ નથી પરંતુ સરકાર તેને રાજકીય કારણોસર આગળ વધારી રહી છે જેથી વિપક્ષને દબાવી શકાય. તેથી અમે સીમાંકન બિલના વિરોધનો નિર્ણય લીધો છે. સરકાર 16, 17 અને 18 એપ્રિલે સંસદના વિશેષ સત્રમાં ત્રણ બિલ લાવવાની છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. છત્તીસગઢ પાવર પ્લાન્ટ દુર્ઘટનાઃ અત્યાર સુધીમાં 19નાં મોત:36 લોકો દાઝી ગયા; વેદાંતા મૃતકોના પરિવારજનોને 35-35 લાખ વળતર અને નોકરી આપશે છત્તીસગઢના સક્તિ જિલ્લામાં વેદાંતા પાવર પ્લાન્ટ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે. 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 6 લોકોના રાયગઢ મેડિકલ કોલેજમાં, 5 લોકોના જિલ્લા હોસ્પિટલ રાયગઢમાં અને 2 લોકોના રાયપુરની કાલડા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. મંગળવારે બપોરે પ્લાન્ટમાં બોઈલર ફાટ્યું હતું. આ દુર્ઘટનામાં કુલ 36 લોકો દાઝી ગયા છે, 18 ઘાયલોની અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. હાલમાં 4 મૃતકોની ઓળખ ઠંડારામ અને પપ્પુ કુમાર અને અમૃત લાલ પટેલ (50) અને યુપીના બ્રિજેશ કુમાર તરીકે થઈ છે. બાકીનાની ઓળખ કરવામાં આવી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. પંજાબ સરકારે રાઘવ ચઢ્ઢાની સુરક્ષા છીનવી:AAPનો દાવો- કેન્દ્ર તરફથી Z+ સુરક્ષા મળશે, પૂછ્યું- સાંસદ અમારો, આ લોકો મહેરબાન કેમ આમ આદમી પાર્ટી (AAP) અને તેના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. પંજાબના CM ભગવંત માનના નેતૃત્વ હેઠળની AAP સરકારે રાઘવ ચઢ્ઢાની સુરક્ષા છીનવી લીધી છે. પંજાબના સહ-પ્રભારી, સાંસદ અને રાજ્યસભામાં ડેપ્યુટી લીડર હોવાને કારણે રાઘવ ચઢ્ઢાને પંજાબ પોલીસની સુરક્ષા મળી હતી. આમ આદમી પાર્ટીના દિલ્હીના નેતા સૌરભ ભારદ્વાજે સોશિયલ મીડિયા (X) પર દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારે રાઘવ ચઢ્ઢાને ઝેડ પ્લસ સુરક્ષા આપી દીધી છે. તેમણે સવાલ ઉઠાવ્યા કે કેન્દ્ર સરકાર આખરે રાઘવ ચઢ્ઢા પર આટલી મહેરબાન કેમ છે? જોકે, ચઢ્ઢાના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને હજુ સુધી કેન્દ્ર તરફથી સુરક્ષા મળી નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ખેડાની ચિખલોડ બેઠક પર તમામ ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા:કોંગ્રેસ-ભાજપ અને 2 અપક્ષ ઉમેદવાર ચૂંટણી નહીં લડે, લોકશાહીનું હનન થતું રોકવા ચૂંટણી અધિકારીએ સમજાવ્યા છતાં ન માન્યા ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો તેજ બન્યો છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વિરોધ પક્ષના ઉમેદવારોએ મેદાન છોડતા ભાજપના અનેક ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે.ત્યારે ફાગવેલ તાલુકાની ચિખલોડ બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યારેય ન બન્યું હોય તેવો મોટો ખેલ પડ્યો છે. તમામ રાજકીય સમીકરણોની સ્થાનિક સમસ્યા મુદ્દે હાર થઈ છે. મૂળ તાલુકામાં રહેવાની માગ સાથે ગ્રામજનોના વિરોધને પગલે ચિખલોડ બેઠક પરના કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ચૂંટણી મેદાનમાં એકપણ ઉમેદવાર નથી. ફોર્મ ખેંચનાર ઉમેદવારોને ચૂંટણી અધિકારીએ લોકશાહીનું હનન થતું રોકવા માટે ખૂબ સમજાવ્યા હતા, આમછતાં ચારેય ટસના મસ થયા નહતા અને માન્યા ન હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'હું સ્થિતિ એવી બનાવીશ, તમારે ફોર્મ પરત લેવું જ પડશે':સુરત મનપામાં આપના મહિલા ઉમેદવારને ખરીદવાનો પ્રયાસ, ભાજપના ઉમેદવારની કથિત ઓડિયો વાઈરલ પાલિકા-પંચાયતની ચૂંટણીમાં આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હોય અનેક શહેરોમાં અંતિમ સુધી ખેંચતાણ જોવા મળી. કોંગ્રેસ અને આપના ઉમેદવારોને પ્રલોભન અને ધમકી આપી ફોર્મ પરત ખેંચાવવાનો ભાજપ પર આક્ષેપો પણ થયા. તેની વચ્ચે સુરતમાં ભાજપના ઉમેદવાર દ્વારા આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર અને તેની પુત્રીને ફોન કરી ફોર્મ પરત ખેંચવા માટે ધમકી અપાતી હોવાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે. આપના પ્રવક્તાએ કહ્યું કે, દિનેશ રાજપુરોહિતે આપના ઉમેદવાર કિરણ દિવાકરને લલચાવી-ડરાવીને ફોર્મ પરત ખેંચવા દબાણ કર્યું. જોકે અમારા ઉમેદવાર મક્કમ રહ્યા છે. જ્યારે દિનેશ રાજપુરોહિતે કહ્યું કે, મારી કિરણ દિવાકર સાથે વાતચીત થઈ હોય શકે પરંતુ, જે ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે તે મારી નથી. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : મહારાષ્ટ્રમાં સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ, મોહમ્મદ અયાઝ ઝડપાયો:સગીર છોકરીઓના અશ્લીલ 350 વીડિયો વાયરલ કર્યા, ભાજપ સાંસદે કહ્યું- 180 છોકરીઓ ભોગ બની વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : હોર્મુઝ પછી ટ્રમ્પનો નવો ટાર્ગેટ મલક્કા સ્ટ્રેટ:ઇન્ડોનેશિયા સાથે ડીલ કરી, અમેરિકાના પ્લાનિંગથી ભારતને ફાયદો કે નુકસાન? વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ભાજપ બંગાળમાં મહિલાઓને દર મહિને ₹3,000 આપશે:સ્મૃતિ ઈરાનીએ માતૃશક્તિ ભરોસા કાર્ડ લોન્ચ કર્યું, 23 એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : યુકેમાં ભારતીય મૂળની સ્પીચ એન્ડ લેંગ્વેજ થેરાપિસ્ટ બરતરફ:અંગ્રેજી ન સમજી શકવાને કારણે નોકરી ગુમાવી, ફોર્મમાં ખોટી માહિતી આપવાનો આરોપ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર ફરી વાતચીત શરૂ થશે:ભારતીય પ્રતિનિધિમંડળ આવતા અઠવાડિયે વોશિંગ્ટન જશે, નવા ટેરિફ માળખા પર ચર્ચા થશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ‘રોહિત-કોહલીને કાઢવા સહેલાં નથી':મુનાફ પટેલે કહ્યું- ગૌતમને હટાવવામાં આવશે તો ગંભીર પરિણામો આવી શકે, ખેલાડીઓને સંભાળવા મુશ્કેલ બનશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ગ્રહોના રાજા સૂર્ય મેષમાં ‘શક્તિશાળી’ થયા:5 રાશિ માટે ગોલ્ડન સમય શરૂ, વૃશ્ચિક-મીને સાચવવું; જાણો સૂર્યદેવ કોના પર વરસાવશે કૃપા? વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ચૂંટણી પ્રચાર માટે હોલોગ્રામનો ઉપયોગ દેશમાં પહેલીવાર ચૂંટણી પ્રચારમાં ‘હોલોગ્રાફિક AI ટેકનોલોજી’ નો ઉપયોગ થયો. TVK પાર્ટીએ એક્ટર વિજયનો હોલોગ્રામ તૈયાર કર્યો છે. આ ટેકનોલોજી દ્વારા તેઓ જનસભાને સંબોધિત કરી રહ્યા છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ : ‘સંભોગ નથી થયો એટલે બળાત્કાર થયો ન કહેવાય’: રાજીવ-ઇન્દિરા ગાંધીના વકીલે આસારામને બચાવવા વાહિયાત દલીલ કરી; 30 કરોડની ઑફર થઈ; જુઓ કોર્ટરૂમમાં તડાફડીનો એપિસોડ-37 2. આજનું એક્સપ્લેનર: ચિમ્પાન્ઝીઓમાં ઇતિહાસનું સૌથી લોહિયાળ 'યુદ્ધ', સગા ભાઈઓએ એકબીજાને ફાડી ખાધા; વૈજ્ઞાનિકો પણ કારણ નથી શોધી શક્યા 3. Editor's View: યુદ્ધમાં સૌથી મોટી ઊથલપાથલ: હવે યૂરોપ હોર્મુઝમાં ઘેરો નાખશે, અમેરિકા સાથેની 80 વર્ષ જૂની દોસ્તી પર લાલ લીટો, સિક્રેટ પ્લાન-B સાથે ટ્રમ્પને ઠેંગો 4. MATCH મસાલા : 'ગોરી રાધા ને કાળો કાન', જયસ્વાલ GF સાથે દેખાયો: સુનીલ છેત્રીનો 'WHAT A CATCH'; સૂર્યકુમારનું કરિયર ખતરામાં! 5. લાકડીના 88 ફટકા ને છૂંદાયેલું શરીર: ઓપરેશન સ્પેશિયાલિસ્ટે આરોપીઓને કેવી રીતે જેલના સળિયા પાછળ ધકેલ્યા? 6. ભર ઉનાળે જેકેટ પહેરેલી પોલીસને જોઇને નવાઇ ન પામતા: ટ્રાફિક જવાનોને મળશે હાઇટેક ‘કવચ’, 45 ડિગ્રી ગરમીમાં પણ લાગશે ઠંડા ઠંડા કુલ કુલ 7. ઈલેક્શન એક્સપ્લેનર : જ્યારે મમતાના માથા પર સળિયો માર્યો, લાગ્યું બચશે નહીં: બંગાળમાં જે આવે છે, તે કેમ છવાઈ જાય છે; શું હવે ભાજપનો વારો છે 8. ભાસ્કર ઈન્ટરવ્યૂ : 1000 કરોડની ડીલ પર હુમાયૂં- BJP સાથે દોસ્તી ક્યારેય નહીં: બંગાળમાં બાબરી બનીને રહેશે, ઓવૈસીના નેતા TMCથી પૈસા લઈ રહ્યા છે કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ: કન્યા અને તુલા રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે, સિંહ અને મકર જાતકોને ભાગ્યનો સાથ મળશે વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 5:00 am

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ મનપાના ઉમેદવારોનું ચિત્ર ફાઈનલ:કોંગ્રેસના કયા કયા ઉમેદવારોએ ઉમેદવારી પરત લીધી, જુઓ હરિફોની ફોટો સાથેની ફાઈનલ યાદી

રાજ્યની પાલિકા-પંચાયતની ચૂંટણી માટે 15 એપ્રિલ (બુધવારે) ઉમેદવારોના ફોર્મ ભરવાની મુદત્ત પૂર્ણ થતા ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપની 300થી વધુ બેઠકો બિનહરીફ થયાનો દાવો કરાયો છે. અમદાવાદ મનપામાં 4, વડોદરા મનપામાં 2 અને સુરતમાં કોંગ્રેસના 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. જ્યારે રાજકોટમાં તમામ ઉમેદવારો અકબંધ રહ્યા છે. હવે જ્યારે ચિત્ર સ્પષ્ટ થયું છે ત્યારે ચારેય શહેરોમાં કયા ઉમેદવાર સામે કોની ટક્કર થશે તેની ફોટો સાથેની યાદી જુઓ... અમદાવાદ મહાનગરપાલિકાઅમદાવાદ મહાનગરપાલિકા કોંગ્રેસના ચાર ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી છે. જ્યારે એક ઉમેદવારે મેન્ડેટ મેળવ્યા બાદ ફોર્મ જ નહોતું ભર્યું. ચૂંટણી પહેલા જ ભાજપની વાસણા અને થલતેજ વોર્ડમાં એક એક બેઠક બિનહરીફ થઈ ચૂકી છે. અમદાવાદમાં મનપાની 192 બેઠકમાંથી કોંગ્રેસના 187 ઉમેદવારો જ મેદાનમાં રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારો મેદાનમાં રહ્યા છે તેની વોર્ડ વાઈઝ ફોટો સાથેની યાદી જુઓ. સુરતમાં ભાજપના 120, કોંગ્રેસના 117 અને આપના 111 ઉમેદવારો ચૂંટણી મેદાનમાંસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 અંતર્ગત સુરત મહાનગરપાલિકાની ચૂંટણી હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. ઉમેદવારીપત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે 16 ઉમેદવારોએ પોતાના નામાંકન પાછા ખેંચતા હવે સુરતના 30 વોર્ડની 120 બેઠકો માટે કુલ 483 ઉમેદવારો વચ્ચે રાજકીય સંગ્રામ ખેલાશે. ખાસ કરીને આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે, જેના કારણે સુરતનું રાજકારણ ગરમાયું છે. સુરત મનપાની ચૂંટણી પ્રક્રિયામાં શરૂઆતમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં કુલ 1059 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. જોકે, ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી ચકાસણી દરમિયાન ટેકનિકલ કારણોસર 561 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. આજે નામ પરત ખેંચવાની અંતિમ મુદત પૂર્ણ થતા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. હવે આગામી 26મી એપ્રિલના રોજ મતદાન યોજાશે, જેમાં શહેરના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નગરસેવકોની પસંદગી કરશે. રાજકીય પક્ષોના ગણિત પર નજર કરીએ તો, સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ (BJP) તમામ 120 બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસના 117 અને આમ આદમી પાર્ટીએ 111 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. આ ઉપરાંત 135 જેટલા અપક્ષ અને અન્ય નાના પક્ષોના ઉમેદવારો પણ મુખ્ય પક્ષોના સમીકરણો બગાડવા માટે તૈયાર છે.ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીના વોર્ડ વાઈઝ ઉમેદવારોની ફોટો સાથેની યાદી જુઓ. વડોદરા મહાનગરપાલિકાવડોદરા મહાનગરપાલિકામાં આજે ફોર્મ ખેંચવાની અંતિમ તારીખે ભારે ઘમાસાણ બાદ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. વડોદરાની 76 બેઠક માટે ભાજપ,કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, AIMIM અને અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. મહાનગરપાલિકાની 76 બેઠક ઉપર બે બેઠક બિનહરીફ થઈ છે જેમાં વોર્ડ 2માં કોંગ્રેસના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિએ ઉમેદવારીપત્ર પરત ખેંચતા ભાજપના ઉમેદવાર ધ્રુવિતા બ્રહ્મભટ્ટ બિનહરીફ થયા છે તો વોર્ડ 11માં કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉપેન્દ્ર પ્રજાપતિ બિનહરીફ થયા છે. 76 બેઠકમાંથી 2 બેઠક બિનહરીફ થતા હવે 74 બેઠક ઉપર ચૂંટણી જંગ ખેલાશે. હવે 74 બેઠક ઉપર કુલ 258 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. વોર્ડ વાઈઝ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની ફોટો સાથેની યાદી જુઓ... રાજકોટ મનપાની ચૂંટણીનું ચિત્ર ફાઈનલ, કૂલ 236 ઉમેદવારો ચૂંટણી મેદાનમાંરાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 18 વોર્ડની 72 બેઠક સામે 236 ઉમેદવારો વચ્ચે ચૂંટણી મેદાનમાં છે. આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે આમ આદમી પાર્ટીના 3 સહિત કુલ 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના 72, કોંગ્રેસના 72, આમ આદમી પાર્ટીના 69, બહુજન સમાજ પાર્ટીના 9, શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના 1, ભારત આદિવાસી પાર્ટીનો 1, અન્ય પક્ષનો 1 અને અપક્ષના 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. વોર્ડ વાઈઝ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની ફોટો સાથેની યાદી જુઓ... ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપ-કોંગ્રેસના આ ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થશે મહેસાણા મહાનગરપાલિકાના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોનું ચિત્ર ફાઈનલ

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 12:14 am

સુરતમાં માતાએ બંને દીકરીઓને ઝેર પીવડાવી પોતે પણ ગટગટાવ્યું:પતિને ફોન કરી કહ્યું- ‘મારે હવે જીવવું નથી’, બપોરે સાથે જમ્યા અને બાદમાં ખેલ ખેલાયો

સુરત શહેરમાં પારિવારિક કંકાસમાં માસૂમ બાળકોને હોમી દેવાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે ડભોલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં રસોઈ બનાવવા જેવી નજીવી બાબતે થતા ઝઘડાથી કંટાળીને એક માતાએ પોતાની 6 અને 5 વર્ષની બે પુત્રીઓને અનાજમાં નાખવાની ઝેરી દવા પીવડાવી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ માતા અને બંને પુત્રીઓ સ્મીમેર હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પતિ કારખાને ગયા અને બાદમાં ખેલ ખેલાયોમળતી માહિતી પ્રમાણે, સુરતના ડભોલી વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરતા મનસુખભાઈ (નામ બદલેલ છે) બુધવારે બપોરે ઘરે જમવા આવ્યા હતા. પત્ની અને બાળકો સાથે ખુશી-ખુશી જમ્યા બાદ તેઓ પરત કારખાને ગયા હતા. જોકે, તેમના ગયા બાદ કીર્તિબેને (નામ બદલેલ છે) ઘરમાં રહેલી અનાજમાં નાખવાની ઝેરી દવા પાણીમાં ભેળવી બંને દીકરીઓને પીવડાવી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ પી લીધી હતી. પતિને ફોન કરીને કહ્યું- ‘મેં દવા પી લીધી છે’ઝેર ગટગટાવ્યા બાદ કીર્તિબેને પતિને ફોન કરીને ચોંકાવનારી જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, મારે હવે જીવવું નથી, મેં ઝેરી દવા પી લીધી છે. આ સાંભળી પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમણે તાત્કાલિક પોતાના પિતરાઈ ભાઈને જાણ કરી ઘરે દોડવા કહ્યું હતું. જ્યારે સંબંધીઓ ઘરે પહોંચ્યા ત્યારે દ્રશ્ય ભયાનક હતું. માસૂમ દીકરીઓ બેડ પર બેસી રડતી હતીઘટનાસ્થળે પહોંચેલા ભાઈએ જણાવ્યું હતું કે, જ્યારે હું રૂમમાં ગયો ત્યારે બંને માસૂમ દીકરીઓ બેડ પર બેસીને રડતી હતી, જ્યારે બેન તેમની સામે જ બેભાન હાલતમાં પડ્યા હતા. મોટી દીકરીએ રડતા રડતા કહ્યું હતું કે, મમ્મીએ અમને દવા પીવડાવી અને પછી પોતે પણ પી લીધી. મને ઉલટી પણ થઈ છે. તાત્કાલિક ત્રણેયને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં માતા ICUમાં અને બંને બાળકીઓ PICU વોર્ડમાં દાખલ છે. રવિવારે વતનમાં લગ્ન હતાપરિવારના સભ્યોએ ભારે હૈયે જણાવ્યું હતું કે, આગામી રવિવારે મહુવા ખાતે સંબંધીના લગ્ન હોવાથી આખો પરિવાર વતને જવાનો હતો. તે માટે કપડાં અને અન્ય ચીજવસ્તુઓની ખરીદી પણ કરી લેવામાં આવી હતી. ઘરમાં પ્રસંગનો માહોલ હતો, પરંતુ તે પહેલા જ બુધવારે આ અઘટિત ઘટના બનતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. નાની-નાની વાતોમાં થતા ઝઘડા કારણભૂત?જયસુખભાઈના જણાવ્યા અનુસાર, પત્ની સાથે છેલ્લા કેટલાક સમયથી રસોઈ બનાવવા બાબતે કે જમવા બાબતે તેમજ અન્ય નાની-મોટી ઘરગથ્થુ બાબતોમાં અવારનવાર બોલાચાલી થતી હતી. આ રોજબરોજના કંકાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાની આશંકા છે. હાલ સિંગણપોર પોલીસે આ મામલે ગુનો નોંધી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 12:05 am

કાકા-ભત્રીજીની જાહેર જીવન છોડવાની ચેલેન્જ:પૂનમ માડમ- 'કોંગ્રેસનો એક કાર્યકર એના નેતા જોડે ફોટો પડાવી બતાવે'; વિક્રમ માડમ- 'તમે કહો એની સાથે રાહુલ ગાંધીનો ફોટો પડાવી દવ'

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. તમામ પક્ષોના ઉમેદવારોનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે. ત્યારે તમામ પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. આ વચ્ચે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ભાજપ દ્વારા 'વિકાસ સંકલ્પ સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં જામનગરના સાંસદ પૂનમ માડમે ચેલેન્જ ફેંકી હતી કે, કોંગ્રેસ અને AAPના નેતા સાથે એના કાર્યકરો ફોટો પડાવી દે તો જાહેર જીવન છોડી દઈશ. ભત્રીજી પૂનમ માડમની ચેલેન્જને કાકા વિક્રમ માડમે સ્વીકારી લીધી છે. વિક્રમ માડમે કહ્યું કે, તમે કહો એની સાથે રાહુલ ગાંધીનો ફોટો પડાવી દવ. પૂનમ માડમની ચેલેન્જજામ ખંભાળિયાની જાહેરસભામાં પૂનમબેન માડમે જણાવ્યું કે, આપણી વિકાસયાત્રાને મજબૂતીથી આગળ વધારવાનો મુખ્ય કોઈ પાયો હોય તો તાલુકા-જિલ્લા પંચાયતની સીટોની મજબૂત કડીને વિધાનસભા અને લોકસભા સાથે જોડવી. જેથી તાલુકા કે જિલ્લા પંચાયતનો સભ્ય ફોન કરે તો એ અવાજ દિલ્હી પહોંચે. કોંગ્રેસ અને AAP વારાઓને પૂછજો એના નેતા સાથે વાત કરવા માટે કેટલા પાપડ બેલવા પડે છે. એના નેતા સાથે વન ટુ વન ઊભા રહીને એક ફોટો પણ જો એ પડાવી દે તો મારે જાહેર જીવન મુકી દેવું છે. ‘નામ તમે નક્કી કરો ચેલેન્જ 48 કલાકની અંદર પુરી કરી દઈશ’ભત્રીજીની આ ચેલેન્જને સ્વિકારતા પૂર્વ સાંસદ વિક્રમ માડમે સોશિયલ મીડિયમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં જણાવ્યું કે, ભૂતકાળની અંદર ઘણા બધા આવા ફોટા છે, અમારા સામાન્યમાં સામાન્ય કોંગ્રેસી કાર્યકરોએ પણ રાહુલ ગાંધી સાથે ફોટા પડાવ્યા છે. હવે હું વિક્રમ માડમ સાંસદને ચેલેન્જ આપું છું કે, નામ તમે નક્કી કરો. તમે જે ચેલેન્જ આપી છે એને 48 કલાકની અંદર પુરી કરી દઈશ. ‘જાહેર જીવન કોણ છોડશે એ તમારે નક્કી કરવાનું છે’વધુમાં જણાવ્યું કે, નામ ચોઈસ કરવાનો અધિકાર પણ આપને આપું છું. કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર મારા માટે સામાન્ય કાર્યકર નથી, મારા માટે તમામ કાર્યકર મહત્વના કાર્યકર છે. તમે 48 કલાકમાં મને એનું નામ આપો. એ કાર્યકરનો ફોટો રાહુલ ગાંધી સાથે પડાવીને, આપ કયો એ જાહેર મંચ ઉપર હું ડિકલેર કરીશ. જો એ જાહેર મંચ ઉપર રાહુલ ગાંધીની સાથે એ કાર્યકરનો ફોટો નહીં પડાવી શકું તો જાહેર જીવન હું છોડી દઈશ. હવે જાહેર જીવન કોણ છોડશે એ તમારે નક્કી કરવાનું છે. મારે એટલું કહેવું છે કે, આપે ચેલેન્જ આપી છે, 12 વર્ષમાં પહેલીવાર એક મર્યાદાઓ હતી એ મર્યાદાઓ તૂટી રહી છે, એટલે મારે હવે ચેલેન્જ આપવાની છે. ‘તમે જે નામ નક્કી કરો એ જાહેર મંચ ઉપરથી કરજો’વધુમાં જણાવ્યું કે, જો હું રાહુલ ગાંધી સાથે એ કાર્યકરનો ફોટો નહીં પડાવી શકું તો હું જાહેર જીવન છોડી દઈશ, તમે જે નામ નક્કી કરો એ જાહેર મંચ ઉપરથી કરજો એટલે જનતાને ખબર પડે કે કયું નામ તમે સજેસ્ટ કર્યું છે અને એ ફોટો જો હું પડાવીને આપી દઉં તો આપ આપની વાતો ઉપર રહેજો. કોણ છે પૂનમબેન માડમ?પૂનમબહેન માડમે 2012માં ભાજપમાં પ્રવેશ કર્યો હતો. ભાજપમાં પ્રવેશ કર્યાના ગણતરીના કલાકોમાં જ પૂનમબેનને 2012 વિધાનસભા ચૂંટણીમાં ખંભાળિયા બેઠક પર ભાજપે ટિકિટ આપી હતી. જેમાં પૂનમબેનની જીત થઈ હતી. 2014 લોકસભા ચૂંટણી આવતા ભાજપે જામનગર લોકસભા બેઠક પર ઉમેદવાર બનાવતા જામનગર બેઠક પર કાકા વિક્રમ માડમ સામે પૂનમબેનની ટક્કર થઈ હતી. જેમાં પૂનમબેન પોણા બે લાખ કરતા વધુ મતથી જીત મેળવી દિલ્હી પહોંચ્યા હતા. ભાજપે 2019ની ચૂંટણીમાં પણ પૂનમબેનને રિપિટ કરતા સવા બે લાખ કરતા વધુ મતથી જીત મેળવી હતી. જામનગર બેઠક પર સતત બે ટર્મથી જીતતા આવતા પૂનમબેનને ભાજપે 2024માં સતત ત્રીજીવાર મેદાનમાં ઉતર્યા હતા. જેમાં પણ પૂનમબેનની જીત થઈ હતી. પૂનમબેનના પિતા હેમંતભાઈ માડમ પણ 1972થી 1990 દરમિયાન ચાર ટર્મ સુધી અપક્ષ તરીકે ધારાસભ્ય રહ્યા હતા. કોણ છે વિક્રમ માડમ?વિક્રમ માડમ ભાણવડ અને ખંભાળિયાના કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2004 અને 2009માં કોંગ્રેસના સાંસદ પણ રહ્યા હતા. જે બાદ વર્ષ 2014માં ભાજપે તેમનાં જ ભત્રીજી પૂનમ માડમને જામનગરમાં ટિકિટ આપી હતી. જેની સામે વિક્રમ માડમની હાર થઈ હતી.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 12:05 am

બે વર્ષથી નાસતા ફરતો ચોરીનો આરોપી ઝડપાયો.:ચોરીના ગુનામાં બે વર્ષથી નાસતો ફરતો રાજકોટનો રીઢો આરોપી રેલવે સ્ટેશન પાસેથી દબોચાયો

​ગુનેગાર ગમે તેટલો શાતિર કેમ ન હોય તે પોલીસ પકડથી ક્યારેય કાયમી બચી શકતો નથી. આ ઉક્તિને જૂનાગઢ બી ડિવિઝન પોલીસે સાર્થક કરી બતાવી છે. છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા ચોરીના ગુનાના એક આરોપીને પોલીસે ફિલ્મી ઢબે રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ​ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એ.બી. ચૌધરીની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ હૂણ અને પોલીસ કોન્સ્ટેબલ મુળુભાઈ વાંદાને ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે, વર્ષ 2024 માં નોંધાયેલા આઈ.પી.સી. કલમ 379 અને 114 મુજબના ચોરીના ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી હાલમાં જૂનાગઢ રેલવે સ્ટેશન પાસે કોઈની રાહ જોઈ ઉભો છે. આ બાતમી મળતા જ પોલીસ ટીમ સક્રિય થઈ હતી અને તાત્કાલિક સ્થળ પર પહોંચી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.​રેલવે સ્ટેશન જેવા ગીચ વિસ્તારમાં પોલીસે વોચ ગોઠવી શખ્સને કોર્ડન કરી લીધો હતો. પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કરે તે પહેલા જ જવાનોએ તેને દબોચી લીધો હતો. પકડાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે પોતાનું નામ આશિષ જીતુભાઈ ભીખાભાઈ કટોણીયા (ઉંમર 34) હોવાનું જણાવ્યું હતું. આરોપી મૂળ રાજકોટના કીટીપરા, ગાયકવાડી શેરી નંબર 05 પાસે આવેલ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. આરોપી વ્યવસાયે મજૂરી કામ કરે છે પરંતુ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાથી તે છેલ્લા બે વર્ષથી અલગ-અલગ જગ્યાએ છુપાઈને પોલીસથી બચતો ફરતો હતો.​આ સફળ ઓપરેશનમાં બી ડિવિઝન પીઆઈ એ.બી. ચૌધરી સાથે એ.એસ.આઈ. એસ.એસ. પરમાર, હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ હૂણ, મુળુભાઈ વાંદા, પરેશભાઈ વરુ, મનિષભાઈ હુંબલ, રઘુવીરભાઈ વાળા અને મુકેશભાઈ મકવાણા સહિતના સ્ટાફે ઉમદા કામગીરી કરી હતી. હાલમાં પોલીસે આરોપીની વિધિવત ધરપકડ કરી છે અને તેની અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જૂનાગઢ પોલીસની આ મક્કમ કામગીરીને પગલે ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 10:38 pm

સોની વેપારી સાથે CNC મશીન ખરીદીના નામે રૂ.67.26 લાખની છેતરપીંડી:સાવરિયા કોર્પોરેશનના સંચાલકો રૂપીયા મેળવી પેઢીને તાળા મારી ફરાર થઇ જતા ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ ફરિયાદ

રાજકોટમાં વધુ એક છેતરપિંડીની ઘટના સામે આવી છે જેમાં સોની વેપારી સાથે CNC મશીન ખરીદીના નામે રૂ.67.26 લાખની છેતરપીંડી થયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. સોનીબજારમાં જય ભવાની ડાઇસ મેકર્સ નામથી પેઢી ધરાવતા કૂણાલભાઈ પાલાએ સાવરિયા કોર્પોરેશન પેઢીને CNC મશીનનો ઓર્ડર આપ્યો હતો જે બાદ આરોપીઓએ લાખો રૂપીયા મેળવી પોતાની પેઢીને તાળા મારી ફરાર થઇ જતાં કૃણાલ ભરતભાઈ પાલા (ઉ.વ.26)એ સાવરિયા કોર્પોરેટર પેઢીના પ્રોપાઈટર રાહુલ સાગઠિયા, જયદીપ ગીરીશ નનેરા અને જયદીપ પટેલ સહિતના શખ્સોના વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બ્રાન્ચે છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ વધુ તપાસ હાથ ધરી છે. ફરીયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સોનીબજાર જુની ગંધીવાડ માધવ કોમ્પલેક્ષ ખાતે બીજા માળે ઓફિસ નં.213માં જય ભવાની ડાઇસ મેકર્સ નામથી પેઢી ધરાવી સોના-ચાંદીનો વેપાર કરે છે તેમના મિત્ર નૈમિસભાઇ અનાડા કે જે લોન અંગેનું કામકાજ કરે છે તેઓના મકાનની તથા દુકાનની લોન નૈમિસભાઈ મારફતે કરાવી છે જેથી બંન્ને છેલ્લા દોઢેક વર્ષથી એકબીજાના પરીચયમાં હતા. સોના ચાંદીના ધંધાના ડાઇસ કામ માટે CNC મશીનની જરૂરત હોવાથી ત્રણેક મહિના પહેલા દુકાને નૈમિસભાઈ અનાડાને CNC મશીન ખરીદ કરવા બાબતે વાત કરી હતી જેથી નૈમિસભાઇએ તેમના મિત્ર રીધમભાઇ તોગડીયાને મશીન લેવા માટે વાત કરી જણાવ્યું કે, તમારૂ CNC મશીન આપણા ભાવમાં થઈ જશે. એકાદ અઠવાડીયા પછી ફરીયાદીનાં પિતા ભરતભાઈ પાલા, ભાઈ કિશનભાઈ પાલા અને નૈમિસભાઈ અનાડા 150 ફૂટ રીંગરોડ, શિલ્પ કોમ્પ્લેક્ષ, અમૃતા હોસ્પિટલ બાજુમા આવેલ સાવરીયા કોર્પોરેશન નામની પેઢી ખાતે રૂબરૂ ગયા હતા ત્યાં આશિષ પટેલ, જયદીપ નનેરા હાજર હતા. અશીષએ જણાવ્યું કે, આ પેઢીના પ્રોપ્રાઈટર તરીકે રાહુલ સાગઠીયા છે જે હાલ હાજર નથી. હું અને જયદીપ બન્ને સાથે મળીને પેઢીમાં કામ કરીએ છીએ. બાદમાં પિતાએ તેઓને CNC મશીન ખરીદવા બાબતે વાતચીત કરી અને તેઓએ મશીનના ફાઇનલ ભાવ રૂ.67.26 લાખનું કોટેશન કાઢી આપેલ હતુ. પિતાએ આ મશીન માટે લોન લેવાની વાત કરી અને બાકીના રૂપીય બેંક ખાતામાંથી પેઢીમાં ટ્રાન્સફર કરી આપવાની વાત કરી હતી. મશીન ખરીદ કરવા માટે લોન લેવાની હોવાથી બીજા દિવસે હોસ્પીટલ ચોક ખાતે આવેલ SBI બેંકમાં લોન માટે ગયા ત્યાંથી કહેવામાં આવ્યું કે, તમને રૂ.49.90 લાખની લોન મળવાપાત્ર છે, લોન 15 દિવસમાં પાસ થઈ જશે. મશીનની લોન સિવાયના બાકી કુલ રૂ.17.36 લાખ RTGS દ્વારા સાવરીયા કોર્પોરેશન નામની પેઢીમાં ટ્રાન્સફર કર્યા હતાં. બાદ આ પેઢીના લેટરપેડ ઉપર બે અલગ અલગ વાઉચરો બનાવ્યા હતા જે વાઉચરો તેમને આપ્યા હતા. ત્યારબાદ તા.09.02.2026ના બેંકે રૂ.49.90 લાખની લોન મંજુર કરતાં સાવરીયા કોર્પોરેશન પેઢીમા ટ્રાન્સફર કર્યા હતા. જયદીપ તથા જેમલએ ઈ-મેઈલ કન્ફોર્મેશન થઈ ગયાનું અને પેઢીના બેંક ખાતામાં રૂ.49.90 લાખ જમા થઇ ગયાનું જણાવ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે નૈમિસભાઈને ફોન કરી CNC મશીન ક્યારે આવશે પૂછતાં જણાવ્યું કે, આશીષ મારો ફોન ઉપાડતા નથી અને જયદીપનો ફોન સ્વીચઓફ આવે છે. સાંજના સમયે નૈમિસભાઇનો ફોન આવ્યો કે, હું રૂબરૂ તેની દુકાન ગયો પરંતુ દુકાન બંધ હતી. બીજા દિવસે ફરીવાર સાવરીયા કોર્પોરેશન પેઢીની દુકાને ગયા તો ત્યાં દુકાન બંધ હતી જેથી સાવરીયા કોર્પોરેશન પેઢીના ત્રણેય સંચાલકો સામે ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકે ગુનો નોંધી આર્થીક ગુના નિવારણ શાખાના પીઆઈ રિતિકા પઢીયાર અને ટીમે વધું તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 10:30 pm

રામવન પાસે એસિડ ઢોળાતા બે યુવક દાઝ્યા:સગીરા ઉપર દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી કોર્ટે ફગાવી

ગત તારીખ 21.01.2026ના રોજ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેમની 12 વર્ષની સગીર દીકરીને આરોપી લલચાવીને ભગાડી લઈ જઈ દુષ્કર્મ આચર્યું છે જેથી પોલીસે દુષ્કર્મ આચરનાર આરોપી સાવન ઝવેરભાઈ ડાભીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો અને આરોપી વિરુદ્ધ ગુના ને લગતા પુરાવા મળી એકત્ર કરી પોકસો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. ચાર્જશીટ થયા બાદ આરોપીએ જેલમાંથી છૂટવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ દ્વારા જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે આરોપી વિરુદ્ધ સમાજ વિરોધી ગંભીર ગુનો છે અને માત્ર 12 વર્ષની સગીરાને ઇન્સ્ટાગ્રામ મારફત ઓળખાણ કરી લલચાવી ફોસલાવી તેણીને લઈ જઈ તેના ઉપર દુષ્કર્મ આચર્યું છે. આવા ગંભીર ગુનામાં આરોપીને જામીન આપવા જોઈએ નહીં અને આ કેસ પોક્સો અદાલતમાં શરૂ થઈ ગયો છે જો તેને જામીન આપવામાં આવશે તો આરોપી નાસી જશે અને કેસ ચાલવામાં વિલંબ થશે જેથી રજૂઆતના અંતે સેશન્સ જજ ટી. એસ બ્રહ્મભટ્ટએ આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી. રામવન પાસે એસિડ ઢોળાતા બે યુવક દાઝ્યા રામવન પાસે કે.પી.સોસાયટીમાં રહેતા તસલીમભાઈ સલીમભાઈ ખાન (ઉ.વ.35) ગઇકાલે સાંજે 6 વાગ્યા આસપાસ પોતાના ઘરે બાથરૂમ સાફ કરવા માટેનું એસિડ લઈને આવી રહ્યા હતા ત્યારે તેમનો પગ લપસી ગયો હતો અને એસિડ તેમના શરીર પર પડ્યું હતું અવાજ થતા પડોશમાં રહેતો ઉમેશ પાસવાન (ઉં.વ.35) ત્યાં દોડી આવ્યો હતો જ્યાં એસિડ ઢોળાયુ હોવાથી ઉમેશનો પગ પણ લપસ્યો અને તેના શરીરે પણ એસિડ અડી ગયું હતું જેથી બંને દાજી જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તસલીમભાઈ કારખાનામાં બફિંગ કામ કરે છે જયારે ઉમેશ પણ કારખાનામાં મજૂરી કરતો હોવાનું સમર આવ્યું છે જે બંને મૂળ ઉત્તરપ્રદેશના વતની હોવાનું સામે આવતા બનાવ અંગે પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ટ્રક હેઠળ સુતેલા પ્રૌઢનું કચડાઈ જવાથી મોત રાજકોટના જુના માર્કેટ યાર્ડ નજીક આજી ડેમ તરફ જતાં સર્વિસ રોડ પર પાર્ક કરેલ એક ટ્રક નીચે અજાણ્યા પ્રૌઢ સુતા હતા. વહેલી સવારે ચાલકે ટ્રક ચાલુ કરી આગળ ચલાવતા જ તોતિંગ વ્હીલ પ્રૌઢ પર ફરી વળતા પ્રૌઢની ચીસ સંભળાતા ચાલકે નીચે ઉતરી જોતા અજાણ્યા પ્રૌઢ લોહી લુહાણ પડ્યા હતા બનાવ અંગે 108ને જાણ કરવામાં આવતા 108ના ઈએમટીએ સ્થળ પર પ્રૌઢને મૃત જાહેર કરી આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક સામે ગુનો નોંધી મૃતક પ્રૌઢના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. કેન્સરની બીમારીથી કંટાળી મહિલાનો આપઘાત રાજકોટના રામવન પાસે રાધાકૃષ્ણ સોસાયટી શેરી નં.3માં રહેતા મીનાબા પ્રવિણસિંહ ઝાલા (ઉં.વ.48) ગઈકાલે સવારે 10.45 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી લેતા તેઓને તત્કાલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતા આજીડેમ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મીનાબાને સ્તન કેન્સર હોવાથી છેલ્લા લાંબા સમયથી તેઓ ડિપ્રેશનમાં રહેતા હતા જેના કારણે બીમારીથી કંટાળી તેઓએ પગલું ભર્યાંનું અનુમાન છે. રોયલ પાર્કમાં યુવકનો આપઘાતજીજ્ઞેશ કાંતિભાઈ વરસાણી (ઉં.વ.33) ગઈકાલે સાંજે 7 વાગ્યા આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા પરિવારજનો દ્વારા તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પર હાજર તબી તપાસી તેને મૃત જાહેર કર્યાં હતા. બનાવની જાણ રાજકોટ તાલુકા પોલીસને થતા પોલીસે યુવકના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન ઇલેક્ટ્રોનિકનું કામ કરતો હતો અને તે પોતે એક ભાઈ અને એક બહેનમાં નાનો હતો. યુવાન પુત્રના આપઘાતથી પરિવારમાં ભારે કલ્પાંત છવાયો હતો. જો કે આપઘાતનું કારણ અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 10:02 pm

કેટરર્સના આપઘાત મામલે બે શખસોની ધરપકડ:વ્યાજના પૈસાની ઉઘરાણી-ધાક ધમકીથી ત્રસ્ત થઈ યુવકે જીવ ટૂંકાવ્યો હતો, હજુ પણ બે આરોપી ફરાર

ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારના ગોડાઉનમાં કેટરીંગનો વ્યવસાય કરતા યુવકે શખસોની વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી અને ધાક ધમકીથી ત્રસ્ત થઈ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જે મામલે બે દિવસ પૂર્વે ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે બે શખસોની ધરપકડ કરી લીધી હતી, જ્યારે હજુ બે શખસ ફરાર હોવાનું જાણવા મળ્યુ હતું. ઘરના સભ્યોને બહાર કાઢી કબજો લઈ લેવા ધમકી આપીઆ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના દેરી રોડ પર આવેલા સાંઈ જ્યોત ફ્લેટમાં રહેતા કૃણાલભાઈ ઉમેશભાઈ માંડલીયાએ ઘોઘારોડ પોલીસ મથકમાં પીન્ટુ ચસ્કા મસ્કાવાળા, રવિ ચંદુભાઈ ખોખર, ગોપાલ અને લાલા સાટીયા સામે ફરીયાદ નોંધાવી હતી કે, તેઓના ભાઈ મેહુલભાઈએ શખસો પાસેથી ધંધામાં જરુરીયાત ઉભી થતા વ્યાજે રૂપિયા લીધા હતા જેને લઈ તેની પાસે વ્યાજ તેમજ મુદલ માટે ફોન કરી ધાક ધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરતા હતા. લાલા સાટીયાએ તેના ભાઈનું એક્ટીવા સ્કુટર બળજબરીથી પડાવી લીધુ હતું તેમજ રવિ ખોખરે તેના ભાઈ પાસે પઠાણી ઉઘરાણી કરી પૈસા નહી આપે તો ઘરના સભ્યોને બહાર કાઢી ઘરને તાળુ મારી કબજો લઈ લેવા ધમકી આપી હતી. હજુ બે શખસ ફરારઉક્ત શખસોની પઠાણી ઉઘરાણી અને ધાક ધમકીથી ત્રસ્ત થઈ તેના ભાઈ મેહુલભાઈને મરવા મજબુર બની ગત તા.6 એપ્રિલના રોજ સુભાષનગરમાં આવેલા તેના ગોડાઉનમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઉક્ત ફરીયાદ સંદર્ભે પોલીસે તમામ સામે BNS એક્ટ 108, 308(4), 308(5), 352, 351(2), 54, મુજબ ગુનો દાખલ કર્યો હતો. જે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી જસવંતસિંહ ઉર્ફે પિન્ટુ રઘુભા ગોહિલ રહે. કાળીયાબીડ અને ગોપાલ કિશોરભાઈ સકોરીયા રહે. આરટીઓ સર્કલ ની ધરપકડ કરી લીધી હતી. જ્યારે હજુ બે શખસ ફરાર હોવાનું જાણવા મળ્યુ હતું.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 9:59 pm

ગાંધીનગરમાં ચૂંટણી પહેલા કેસરીયો જેવો માહોલ:કેન્દ્રીય ગૃહમંત્રીના મતવિસ્તાર માણસામાં ભાજપની રણનીતિ સફળ, ભાજપે 13 બેઠકો બિનહરિફ અંકે કરી દબદબો

ગાંધીનગર જિલ્લામાં આગામી 26મી તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન પ્રક્રિયા યોજાય તે પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજયનો શંખનાદ ફૂંકી દીધો છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જિલ્લામાં ભાજપની વ્યૂહાત્મક રણનીતિ અને સંગઠનની પકડને પરિણામે કુલ 13 બેઠકો બિનહરિફ જાહેર થઈ છે. ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના સંસદીય મતવિસ્તારમાં આવતા તેમના વતન માણસા તાલુકામાં ભાજપે વિરોધ પક્ષોના સુપડા સાફ કરી દીધા હોય એવી સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે અનેક બેઠકો પર હરીફ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા ચૂંટણી પહેલા જ ભાજપનું સંખ્યાબળ મજબૂતગાંધીનગર જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકો પૈકી 3 મહત્વની બેઠકો પર મતદાન પહેલા જ ભાજપનો વિજય થયો છે. માણસા તાલુકામાં સમાવિષ્ટ સમૌ બેઠક પરથી ભરત ચૌધરી, લોદરા બેઠક પરથી કલ્પેશ પટેલ અને ચરાડા બેઠક પરથી દેવુબેન ગાભાજી ઠાકોર બિનહરિફ ચૂંટાયા છે. આ બેઠકો પર કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા ભાજપે ચૂંટણી પહેલા જ પોતાનું સંખ્યાબળ મજબૂત કરી લીધું છે. જિલ્લા પંચાયતની સાથે માણસા તાલુકા પંચાયતની 26 બેઠકોમાંથી પણ 6 બેઠકો ભાજપના ફાળે બિનહરિફ રીતે આવી છે. ન.પા.ની 11 બેઠકોમાંથી 4 બેઠકો બિનહરિફ જાહેરજેમાં ચરાડા બેઠક પર ભારતીબેન ચૌધરી, વેડા બેઠક પર શકુંતલાબેન ચૌધરી, વરસોડા બેઠક પર જાહન્વી પ્રયદર્શી, ચરાડા-2 પર રાજુબેન ડાભી, સાલૈયા બેઠક પર રમેશભાઇ ચૌધરી અને બાલવા બેઠક પર રોશનીબેન ચૌધરીનો વિજય થયો છે. એજ રીતે કલોલ નગરપાલિકામાં પણ ભાજપે પોતાનો ગઢ અકબંધ રાખ્યો છે. નગરપાલિકાની કુલ 11 બેઠકોમાંથી 4 બેઠકો બિનહરિફ જાહેર થઈ છે. જેમાં વોર્ડ-8માં ધર્મેન્દ્રભાઇ પટેલ, વોર્ડ-6માં ભગવતીબેન બ્રહ્મભટ્ટ, વોર્ડ-10માં જયશ્રીબેન પટેલ અને વોર્ડ-5માં ફતેસિંહ ઠાકોરે હરીફ વિના જીત મેળવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયુંઆ 13 બિનહરિફ ઉમેદવારોમાં મહિલા સભ્યોની સંખ્યા નોંધપાત્ર રહી છે. કુલ વિજેતાઓમાં 7 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. જે ભાજપની મહિલા સશક્તિકરણની નીતિને સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરે છે. આજે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતા હવે સમગ્ર ગાંધીનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લાની 3 સંસ્થાઓની કુલ 122 બેઠકો માટે શરૂઆતમાં 589 ફોર્મ ભરાયા હતા.જેમાંથી હવે 408 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. આંકડાકીય વિગતો મુજબ જિલ્લા પંચાયતની બેઠકો પર 72 ઉમેદવારો, દહેગામ તાલુકા પંચાયત માટે 72, કલોલ તાલુકા પંચાયત માટે 48 અને માણસા તાલુકા પંચાયત માટે 57 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે.નગર પાલિકાઓમાં દહેગામ ખાતે 65 અને કલોલમાં 94 ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. અંતિમ દિવસે 40 ફોર્મ પરત ખેંચાયા બાદ હવે બાકી રહેલી બેઠકો પર આગામી 26મીએ મતદાન હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 9:54 pm

'સુહાનીના કારણે આત્મહત્યા કરું છું':પત્નીના ત્રાસથી કંટાળી યુવાને ટ્રેન નીચે પડતું મૂક્યું, સુસાઈડ નોટમાં થયો મોટો ખુલાસો

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ગત 3 ફેબ્રુઆરીના રોજ રેલવે ટ્રેક પરથી મળી આવેલી યુવાનની લાશના કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. મૃતક યુવાનના ખિસ્સામાંથી મળી આવેલી સુસાઈડ નોટમાં પત્નીના ત્રાસનો ઉલ્લેખ મળતા પોલીસે હવે પત્ની વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. પત્ની સાથેના સતત ઝઘડાથી કંટાળીને યુવાને મોત વહાલું કર્યું હોવાનું બહાર આવ્યું છે. લગ્નના 15 દિવસમાં જ સુરત આવ્યા, પત્ની ઝઘડા કરતી હતીમળતી માહિતી પ્રમાણે મૂળ યુપીના પ્રતાપગઢના રહેવાસી મોતીલાલ ગૌતમે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પુત્ર નિખિલે તેના જ ગામની સુહાની નામની યુવતી સાથે ગત 7 મે, 2024ના રોજ મંદિરમાં પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નના 15 દિવસ બાદ આ નવદંપતી રોજગારી માટે સુરત આવ્યું હતું અને લિંબાયતના શાંતિનગરમાં રહેવા લાગ્યું હતું. નિખિલ અહીં એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. જોકે, સુખદ દાંપત્ય જીવનની આશા રાખનારા નિખિલના જીવનમાં થોડા જ સમયમાં કલેશ શરૂ થઈ ગયો હતો. પિતાએ પુત્રનો ફોટો જોઈ ઓળખ કરીનિખિલ ગુમ થયો હોવાની જાણ થતા તેના પિતા 10 ફેબ્રુઆરીએ સુરત દોડી આવ્યા હતા. લિંબાયત પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે 3 ફેબ્રુઆરીએ કતારગામ રેલવે ટ્રેક પર એક અજાણ્યા યુવકનું ટ્રેન નીચે કપાઈ જવાથી મોત થયું હતું. પોલીસે જ્યારે મૃતકનો ફોટો બતાવ્યો ત્યારે મોતીલાલના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, તે તેમનો વહાલસોયો પુત્ર નિખિલ જ હતો. પોલીસે નિખિલના ખિસ્સામાંથી અંગ્રેજીમાં લખેલી એક સુસાઈડ નોટ જપ્ત કરી હતી. સુસાઈડ નોટમાં શું લખ્યું હતું?નિખિલે જીવન ટૂંકાવતા પહેલા લખેલી સુસાઈડ નોટમાં પત્ની સુહાનીના ત્રાસનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. તેણે લખ્યું હતું કે પત્ની વારંવાર ઝઘડા કરે છે અને તેને માનસિક ટોર્ચર કરે છે, જેના કારણે તે આ અંતિમ પગલું ભરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, નિખિલના માતા-પિતા જ્યારે ઓગસ્ટ 2025માં સુરત રહેવા આવ્યા હતા, ત્યારે પણ પુત્રવધૂના અસહ્ય ત્રાસને કારણે તેઓ પરત વતન ચાલ્યા ગયા હતા. પત્નીએ અન્ય યુવતી સાથે સંબંધ હોવાનો આક્ષેપ કર્યો હતોઘટનાની વધુ વિગતો મુજબ, સુહાનીએ નિખિલ પર પ્રીતિ નામની યુવતી સાથે અફેર હોવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો. નિખિલ ગુમ થયો ત્યારે સુહાનીએ તેના સસરાનો નંબર પણ બ્લોક કરી દીધો હતો અને કોઈ યોગ્ય જવાબ આપતી નહોતી. હાલ કતારગામ પોલીસે મોતીલાલ ગૌતમની ફરિયાદના આધારે આરોપી પત્ની સુહાની સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 9:44 pm

ઓગષ્ટ ક્રાંતિ ટ્રેનમાં DRIના દરોડા:2 કરોડના પાર્ટી ડ્રગ્સ સાથે નાઇજેરિયન યુવતી ઝડપાઈ, કોર્ટે 14 દિવસની જેલ કસ્ટડીનો હુકમ કર્યો

સુરત શહેરમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજેન્સ (DRI)ની ટીમને મોટી સફળતા મળી છે. સુરત રેલવે સ્ટેશન પર બાતમીના આધારે વોચ ગોઠવીને DRIની ટીમે ઓગષ્ટ ક્રાંતિ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી એક નાઇજેરિયન યુવતીને આંતરી હતી. તપાસ દરમિયાન આ યુવતીના સામાનમાંથી અંદાજે બે કિલો જેટલું હાઈ-પ્રોફાઈલ પાર્ટી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂપિયા બે કરોડથી વધુ હોવાનું મનાય છે. આ યુવતીની ઓળખ ઇમ્માનુએલા તરીકે થઈ છે. મોડી સાંજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા ન્યાયાધીશે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.DRIની ટીમે આ ઓપરેશન અત્યંત સાવચેતીપૂર્વક પાર પાડ્યું હતું. અગાઉ જ્યારે એક નાઇજેરિયન મહિલાની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે તેણે ભારે ધમાલ મચાવી હતી અને તેને ટ્રેનમાંથી નીચે ઉતારવા માટે 10થી વધુ પોલીસકર્મીઓએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. મહિલા પોલીસની સતર્કતાને કારણે યુવતીને તુરંત કાબૂમાં લઈ લેવામાં આવીઆ વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે DRIની ટીમ પહેલેથી જ મહિલા પોલીસના મોટા કાફલાને સાથે રાખીને સ્ટેશન પહોંચી હતી. યુવતીએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલા પોલીસની સતર્કતાને કારણે તેને તુરંત કાબૂમાં લઈ લેવામાં આવી હતી. સુરત રેલવે સ્ટેશન પર બનેલી આ ઘટનાને પગલે મુસાફરોમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી હતી.પકડાયેલું આ ડ્રગ્સ ખાસ કરીને હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓમાં વપરાતું હોવાનું સામે આવ્યું છે. DRI હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સનો જથ્થો સુરતમાં કોને પહોંચાડવાનો હતો? શું સુરતમાં કોઈ મોટું ડ્રગ્સ રેકેટ સક્રિય છે જે વિદેશી નાગરિકોનો ઉપયોગ કરી માલ મંગાવી રહ્યું છે? મોટા માથાની ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતાતપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપી યુવતીના મોબાઈલ ડેટા અને કોલ ડિટેલ્સના આધારે સુરતના સ્થાનિક સપ્લાયર્સ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થવાની અને મોટા માથાની ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 9:34 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026:કુલ 30,332 ફોર્મમાંથી 10,023 રદ્દ, 1218 પરત ખેંચ્યા, 198 બેઠકો બિનહરીફ; 19,015 ઉમેદવારો મેદાનમાં

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટે ફોર્મ પરત ખેંચવાની અને ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થતાં ચિત્ર હવે લગભગ સ્પષ્ટ બની ગયું છે. મહાનગરપાલિકાથી લઈને તાલુકા પંચાયત સુધીના આંકડાઓ બતાવે છે કે ક્યાંક બિનહરીફ જીતો મળી છે તો ક્યાંક જોરદાર મુકાબલો થવાનો છે. મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 9:31 pm

સુરત મનપામાં ભરતીનો વિક્રમ:2,600 જગ્યાઓ માટે સવા બે લાખથી વધુ અરજીઓનો ઘોડાપૂર; જુનિયર ક્લાર્ક માટે સૌથી વધુ 1.05 લાખ દાવેદારો વચ્ચે જંગ

સુરત મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલી 2600 વિવિધ જગ્યાઓની ભરતી પ્રક્રિયાએ સમગ્ર રાજ્યમાં રોજગારીની સ્થિતિ પર મોટું પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યું છે. આ ભરતીમાં અત્યાર સુધીમાં અધધ સવા બે લાખથી વધુ યુવાનોએ ઓનલાઈન અરજી કરી છે. સરકારી નોકરી મેળવવા માટે યુવાનોમાં રહેલો અદમ્ય ક્રેઝ અને સ્પર્ધાત્મક માહોલ આ આંકડા પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. મનપાના વહીવટી ઇતિહાસમાં આ એક અભૂતપૂર્વ ધસારો માનવામાં આવી રહ્યો છે. એક જ કેટેગરીમાં 1.05 લાખથી વધુ ઉમેદવારોએ નસીબ અજમાવ્યુંવિભાગવાર વિગતો તપાસતા જાણવા મળે છે કે સૌથી વધુ સ્પર્ધા જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે છે. આ એક જ કેટેગરીમાં 1.05 લાખથી વધુ ઉમેદવારોએ નસીબ અજમાવ્યું છે. તેવી જ રીતે, સુરક્ષા વિભાગમાં માર્શલ માટે 27 હજાર, આરોગ્ય ક્ષેત્રે સ્ટાફ નર્સ માટે 25 હજાર અને ડ્રાઈવરની જગ્યા માટે 10 હજાર જેટલા ફોર્મ ભરાયા છે. આ આંકડા દર્શાવે છે કે સરેરાશ એક સીટ દીઠ 86 ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. સર્વર પર ટેકનિકલ લોડ વધી ગયોઅરજી સ્વીકારવાની અંતિમ મુદત સુધી ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. છેલ્લી ઘડીએ ફોર્મ ભરવા માટે હજારો યુવાનોએ મનપાની સત્તાવાર વેબસાઈટ પર લોગ-ઈન કરતા સર્વર પર ટેકનિકલ લોડ વધી ગયો હતો. મોડી રાત સુધી પોર્ટલ ચાલુ રાખવામાં આવ્યું હતું, જેમાં અનેક યુવાનોએ ભારે જહેમત બાદ પોતાની અરજી સબમિટ કરી હતી. લાખોની સંખ્યામાં આવેલી આ અરજીઓને કારણે મનપાની ભરતી સમિતિ પર હવે મોટી જવાબદારી આવી પડી છે. હવે પછીનો સૌથી મોટો પડકાર લાખો ઉમેદવારોની પારદર્શક પરીક્ષા અને દસ્તાવેજ ચકાસણીનો છે. આટલી વિશાળ જનસંખ્યા માટે પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા કરવી અને સુરક્ષા જાળવવી એ મનપાના વહીવટી તંત્ર માટે કસોટી સમાન રહેશે. આગામી સમયમાં ટેકનિકલ અને બિન-ટેકનિકલ સ્ટાફની પસંદગી માટે તબક્કાવાર પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે, જેના પર લાખો યુવાનોની નજર ટકેલી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 9:30 pm

ચિત્રા-સીદસર રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા કોંગ્રેસ ઉમેદવારનું અપહરણ!?:કોંગ્રેસ પક્ષના વડવા-અ વોર્ડના ઉમેદવારનું અપહરણ થયાના આક્ષેપ સાથે ઉમેદવારના ભાઈની ફરિયાદ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે ભાવનગર શહેર તેમજ જિલ્લામાં પણ ચૂંટણીને લઈ આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે શહેરના ચિત્રા-સીદસર રોડ પર આવેલ બાપાસિતરામ ચોક પ્લોટ નંબર 55માં રહેતા યુવકે વડવા-અ વોર્ડમાંથી કોગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. ત્યાર બાદ ગતરોજ થી લાપત્તા બનતા યુવકના ભાઈએ શહેર કોગ્રેસ પ્રમુખ લાલભા સહિત બે લોકોએ તેના ભાઈ પાસેથી બળજબરી પુર્વક ઓરીજનલ દસ્તાવેજ મેળવી દબાણ કરી ગત તા.14 ના રોજ તેના ભાઈનું અપહરણ કરી ગુપ્ત જગ્યાએ ગોંધી રાખ્યા હોવાના આક્ષેપ સાથે બોરતળાવ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી છે. ફરીયાદના પગલે મોટી સંખ્યામાં કોગ્રેસના આગેવાનો અને કાર્યકરો એસપી કચેરી દોડી ગયા હતા. પ્રમુખ લાલભાએ ફરિયાદ નોંધાવીઆ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના ચિત્રા સીદસર રોડ પર આવેલી બાપા સિતારામ સોસાયટીમાં રહેતા ભરતભાઈ રમેશભાઈ કાંમ્બડે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાવનગર વડવા-અ વોર્ડમાંથી કોગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ ગત તા.14 એપ્રિલના રોજ ભરતભાઈ કામ્બડ પોતાના ઘરેથી પરત ન ફરતા કોગ્રેસ પક્ષના પ્રમુખ લાલભા સહિત બેએ ભરતભાઈનું અપહરણ કર્યાના આક્ષેપ સાથે ફરીયાદ નોંધાવતા ભાવનગર શહેરમાં રાજકિય માહોલ ગરમાયો છે. ભાવનગર શહેરના પાનવાડી ચોક ખારી કૂઈમાં રહેતા કોગ્રેસના વડવા-અ વોર્ડના ઉમેદવાર ભરતભાઈના ભાઈ શૈલેષભાઈ રમેશભાઈ કામ્બડે બોરતળાવ પોલીસ મથકમાં કોગ્રેસ પ્રમુખ લાલભા અને હરદેવસિંહ નામના શખસ સામે ફરીયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, તેઓના ભાઈ ભરતભાઈને કોગ્રેસ પક્ષ તરફથી વડવા-અ સીટ પરથી ઉમેદવાર તરીકે ટીકીટ મળી હતી. પરંતુ તેઓને ચૂંટણીમાં ઉભા રહેવું ન હોય તેમ છતા ચૂંટણીમાં ઉભા રખાવી તેની પાસેથી ઓરીજિનલ દસ્તાવેજ લઈ લીધા હતા. ભરતભાઈ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભો રહી ચૂંટણી લડવાનો હોય જે માટે ગત તા.14 એપ્રિલના ના રોજ સવારે 8.30 કલાકના સમય દરમિયાન તેનુ અપહરણ કરી કોઈ ગુપ્ત જગ્યાએ લઈ જઈ ગોંધી રાખ્યા છે. દબાણપુર્વક વીડિયો ઉતારી અને જરુરી દસ્તાવેજોમાં સહીઓ કરાવી લીધાની આશંકા વ્યક્ત કરીજ્યારે તેના ભાઈને ગાયબ કરી દબાણપુર્વક વીડિયો ઉતારી લઈ તેમજ જરુરી દસ્તાવેજોમાં સહીઓ કરાવી લીધાની આશંકા જતાવી હતી. જે ફરીયાદ અનુસંધાને બોરતળાવ પોલીસે ​શહેર કોગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ અને હરદેવસિંહ સામે BNS એક્ટ 140(3), 142, 54, મુજબ ગુનો દાખલ કરી ભાવનગર શહેર કોગ્રેસ પ્રમુખ લાલભાની બોરતળાવ પોલીસે અટકાયત કરી તેને માઢીયા પોલીસ મથક લઈ જવાયા હોવાનું જાણવા મળ્યુ હતું. કોગ્રેસ પક્ષના આગેવાનો-કાર્યકરો રોષે ભરાયા હતા ભાવનગર શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસ ઉમેદવારના અપહરણ બાબતે ભાવનગર શહેર કોગ્રેસ પ્રમુખ લાલભાની અટકાયત થતા કોગ્રેસ પક્ષના આગેવાનો-કાર્યકરો રોષે ભરાયા હતા અને મોટી સંખ્યામાં જિલ્લા પોલીસવડાની કચેરીએ દોડી ગયા હતા અને કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર રજુઆત કરી હતી. જ્યારે લાલભાની અટકાયતના પગલે શ્રી કરણી સેનાના કાર્યકરો પણ એસપી કચેરી દોડી આવ્યા હતા. બનાવના પગલે રાજકિય પાર્ટીઓમાં ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી. ભરતભાઈ કામ્બડે વાઇરલ વીડિયોમાં શું કહ્યું?અત્રે ઉલેખિનય છે કે જેઓ વડવા અ વોર્ડના ઉમેદવાર ભરતભાઈ કામ્બડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, ​હું ભરતભાઈ રમેશભાઈ કાંબડ, કોંગ્રેસનો ઉમેદવાર. હું મારી મેળે જ રાજીખુશીથી બહાર આવ્યો છું અને મને કોઈનું દબાણ છે નહીં. હું મારી જાતે જ આવ્યો છું અને મારી હારે કોઈ નથી, આજુબાજુમાં જુઓ. હું મારી મરજીથી આવેલો છું. આ અંગે તખ્તેશ્વર વોર્ડ કોંગ્રેસના ઉમેદવાર પરુંલબેન ત્રિવેદી એ જણાવ્યું હતું કે, પોલીસ ખાતું ભારતીય જનતા પાર્ટીના ઈશારે નાચવાવાળું તંત્ર છે. ખોટા આક્ષેપ અપહરણના કર્યા છે. ખોટા અપહરણ કરીને ઈ બહાને એને લઈ ગયા છે. આખા ભાવનગરમાં શાંતિ ડોલવાનો પ્રયત્ન કર્યો છે. ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગઈ છે, એવું માનું છું. આખી રાત ખરીદ-વેચાણ સંઘ હોય ને એવી રીતે આટલા રૂપિયા આપશું, આટલા લાખો રૂપિયા આપશું. આખી રાત તોડવાના પ્રયત્ન કર્યા છે. મજબૂત લોકો છે, કોઈ તૂટ્યા નથી. જે ખરેખર કોંગ્રેસને માને છે, કોંગ્રેસને વરેલા છે, એ આમાં આવ્યા નથી કોઈ. એના ઓલમાં હાર ભાળી ગઈ છે. એ કરતા તો ભારતીય જનતા પાર્ટીને એટલું કહીશ કે ઇલેક્શનને બદલે સિલેક્શન આપી દયો એટલે તમારે આ ખરીદ-વેચાણ સંઘ કરવું નહીં, અપહરણ ગુના કરવા નહીં. ખોટી રીતે હેરાન કરવાની વાત છે. અમારા પ્રમુખ લાલભાની ધરપકડ કરવામાં આવી છે, એટલે અત્યારે તો અમે માત્ર આટલા લોકો છીએ. હમણાં ધાડેધાડા ઉતારતા જરા પણ વાર નહીં લાગે અમને. અમારી માંગણી છે કે અમારા લાલભા પ્રમુખ ને હાજર કરો. હાજર નહીં કરે ને કંઈ પણ થશે તો જવાબદારી માત્રને માત્ર પોલીસ ખાતાની રહેશે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 9:29 pm

MLAના કાર્યાલયમાં વિરેન્દ્રસિંહ અને નેહલ શુકલ વચ્ચે ઉગ્ર બોલાચાલી:ફોર્મ ભરવા સમયથી ચર્ચામાં રહેલા ઉમેદવારને તત્કાલ સંકલનમાં પહોંચવા આદેશ આપતા 'મને આવી સ્ટાઇલમાં સૂચના ન આપવા' વળતો જવાબ

રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપમાં આંતરિક વિખવાદો અને બબાલો બંધ થવાનું નામ નથી લઇ રહી આજે વધુ એક બબાલના સમાચાર સામે આવ્યા છે જેમાં ફોર્મ ભરવા સમયથી ચર્ચામાં રહેલ વોર્ડ નંબર 7ના ઉમેદવાર નેહલ શુક્લ અને ચૂંટણીની સંકલન સમિતિના સંયોજક વિરેન્દ્રસિંહ ઝાલા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ તું તું મેં મેં સુધી વાત પહોંચી હતી. ઉમેદવારને સમયસર સંકલન બેઠકમાં આવવા માટે ફોનથી જાણ કરવામાં આવતા આ સ્ટાઈલમાં મારી સાથે વાત ન કરવી કહી નેહલ શુક્લએ વિરેન્દ્રસિંહને જવાબ આપતા મામલો ગરમાયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મામલો એટલો ગરમાયો કે પ્રમુખ દ્વારા સંકલન બેઠકને ટુંકાવવાનો નિર્ણય કરી બન્ને આગેવાનોને બંધ બારણે સમજાવી મામલો થાળે પાડવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે જાહેરમાં થયેલ બબાલની વાતને નેતાઓ કશું ન થયાનું કહી વાત છુપાવવા પ્રયાસ કરી રહ્યા છે પરંતુ બબાલ સમયે હાજર ભાજપ ના જ અન્ય લોકો મોટી બબાલ થઇ હોવાનો ગણગણાટ કરતા ચૂંટણીના માહોલ વચ્ચે બુધવારની સાંજથી શહેરમાં વિરેન્દ્રસિંહ અને નેહલ શુક્લ વચ્ચે થયેલ બબાલ ટોક ઓફ ધ ટાઉન બની ગયો હતો. વિરેન્દ્રસિંહનો ટોન `ઓર્ડર' જેવો લાગતા નેહલ શુકલ તત્કાલ ધારાસભ્યના કાર્યાલયે પહોંચ્યારાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના ભકિતનગર સર્કલ પાસે આવેલા કાર્યાલયે આજે બપોરે 1 વાગ્યા આસપાસ સાંસદ પરસોતમભાઇ રૂપાલા, પ્રમુખ ડો.માધવ દવે સહિતના નેતાઓની હાજરીમાં સંકલનની મીટીંગ ચાલુ હતી. આ દરમ્યાન ચૂંટણી પ્રચારમાં રહેલા વોર્ડ નંબર 7ના ઉમેદવાર ડો.નેહલ શુકલને પૂર્વ મહામંત્રી અને ચૂંટણીની સંકલન સમિતિના સંયોજકવિરેન્દ્રસિંહ ઝાલાએ જ્યાં હોય ત્યાંથી તાત્કાલીક કાર્યાલયે આવી જવાનો ફોન કર્યો હતો. વિરેન્દ્રસિંહનો ટોન `ઓર્ડર' જેવો લાગતા નેહલ શુકલ તત્કાલ ધારાસભ્યના કાર્યાલયે પહોંચ્યા હતા. આ સમયે ચાલતી ભાજપ સંકલનની મીટીંગમાં ધારાસભ્ય રમેશ ટીલાળા, સાંસદસભ્ય રૂપાલા અને વિરેન્દ્રસિંહ ઝાલા સ્ટેજ પર બેઠા હતા. પૂર્વ કોર્પોરેટર નેહલ શુકલએ સ્ટેજ પરથી વિરેન્દ્રસિંહને નીચે બોલાવ્યા હતાકાળઝાળ ગરમીમાં પોતે પણ ગરમ થઇને આવેલા પૂર્વ કોર્પોરેટર નેહલ શુકલએ સ્ટેજ પરથી વિરેન્દ્રસિંહને નીચે બોલાવ્યા હતા અને અંદર રૂમમાં લઇ ગયા હતા જ્યાં બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા આ સમયે કંઇક નવાજુની થવાના સંકેત મળતા તુરંત પ્રમુખ ડો.માધવ દવેએ આજની સંકલન મીટીંગ પુરી થયાની જાહેરાત કરી દીધી હતી અને બાદ આગેવાનો બંને નેતા વચ્ચે પડયા હતા અને મામલો શાંત પાડયો હતો. જો કે આ સમયે બેફામ બોલાચાલી થઇ હોવાનું ભાજપના જ અન્ય આગેવાનોએ જાહેર કરતા શહેરમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ગયો હતો. વિરેન્દ્રસિંહ ઝાલાએ નેહલ શુક્લને ફોન કરી તાબડતોબ આવી જવાનું કહ્યુંચર્ચા તો એવી પણ થઇ રહી છે કે વિરેન્દ્રસિંહ ઝાલાએ નેહલ શુક્લને ફોન કરી તાબડતોબ આવી જવાનું કહ્યું એટલે આવી જવાનું કહેતા તેમનો ઈગો ઘવાયો હોય તેમ આ રીતે વાત ન કરવા કહેતા બન્ને નેતાઓ લડી લેવાના મૂડમાં આવી ગયા હતા. એક તબકકે નેહલ શુકલએ વિરેન્દ્રસિંહને એવું કહી દીધુ હતું કે મને પુછયા વગર સંકલનમાં મારો સમય નકકી નહીં કરવાનો, મારી સાથે તમારી સ્ટાઇલની ભાષામાં વાત કરવાની જરૂર નથી, મર્યાદામાં રહેજો. મહત્વનું છે કે આજે તો આ મામલો શાંત પડી ગયો છે પરંતુ મતદાનના 12 દિવસ અગાઉ બનેલી આ ઘટનાની અસર મતદાન ઉપર પણ થાય તો નવાઈ નહીં કારણ કે વોર્ડ નંબર 7ના ઉમેદવાર તરીકે પાર્ટીએ શૈલેષ જાનીનું નામ જાહેર કર્યું હતું જો કે હાઇકમાન્ડ સુધી લોબિંગ કરી રાતોરાત નેહલ શુક્લ મેન્ડેડ લઇ આવતા સામેના વિરોધી જૂથના પેટમાં પણ તેલ ચોક્કસ રેડાયું છે. ચૂંટણી અને કાળઝાળ ગરમીના માહોલમાં નેતાઓ વચ્ચે ગરમાં ગરમીના સમાચાર અંગે બન્નેમાંથી એક પણ નેતા આવી કોઇ ઉગ્ર નહિ પરંતુ સામાન્ય બોલાચાલી થઇ હોવાનું કહીને વાતને હળવાશથી ટાળી દીધી હતી.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 9:07 pm

ઝાલાવાડ રબારી સમાજના 45 યુગલોના સમૂહ લગ્ન યોજાયા:કોઠારીયા વજાભગતના સાનિધ્યમાં ભવ્ય ઉત્સવ ઉજવાયો, અનેક મહાનુભાવોનું સન્માન

વઢવાણના કોઠારીયા ખાતે વજાભગતના સાનિધ્યમાં ઝાલાવાડ રબારી સમાજનો ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો. આ પ્રસંગે રબારી સમાજના 45 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. જગતગુરુ કનીરામ બાપુએ નવદંપતીઓને સુખી લગ્નજીવન માટે આશીર્વાદ પાઠવ્યા હતા. આ સમૂહ લગ્નમાં દુધઈ રામબાલકદાસ બાપુ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઝાલાવાડ રબારી સમાહ લગ્નના પ્રમુખ ઘનશ્યામભાઈ સાવધરીયા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, અને પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 20 હજારથી વધુ રબારી સમાજના લોકોએ આ ઉત્સવમાં હાજરી આપી હતી. સમૂહ લગ્નમાં રબારી સમાજની દીકરીઓને કરિયાવરમાં એક લાખ રૂપિયાથી વધુની ઘરવખરીની તમામ ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ ઉપરાંત, કોઠારીયા રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ અને ગૌશાળા દ્વારા રાધે રાધે જીગ્નેશ દાદાની ભવ્ય સપ્તાહનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ 80 હજારથી વધુ ધર્મપ્રેમીઓ કથા શ્રવણ અને મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે. આ સમૂહ લગ્ન પ્રસંગે રબારી સમાજના કનીરામ બાપુનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલિયાનું પણ ભાવભર્યું સ્વાગત કરાયું હતું. સંતો, મહંતો અને અગ્રણી આગેવાનોનું પણ આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 9:00 pm

કરોડોની મિલકત ધરાવતા કોંગ્રેસના ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચ્યા:સુરત મનપા ચૂંટણીમાં વોર્ડ નં. 1, 12, 18 અને 23માં પક્ષના પાયા હચમચી ગયા

સુરત મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીના રાજકારણમાં એક અભૂતપૂર્વ અને આંચકાજનક વળાંક જોવા મળ્યો છે. લોકશાહીના આ પર્વમાં જ્યારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ ક્ષણો ચાલી રહી હતી, ત્યારે જ કોંગ્રેસ પક્ષના પાયા હચમચી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સુરતના રાજકીય ઇતિહાસમાં કદાચ આ પહેલીવાર હશે કે જ્યારે મુખ્ય વિરોધ પક્ષના મજબૂત અને આર્થિક રીતે સધ્ધર ગણાતા ઉમેદવારોએ એકાએક મેદાન છોડી દીધું છે. આ ઘટનાએ માત્ર કોંગ્રેસના કાર્યકરોને જ નહીં પરંતુ સુરતના જાગૃત નાગરિકો અને રાજકીય વિશ્લેષકોને પણ વિચારતા કરી દીધા છે. ખાસ કરીને વોર્ડ નંબર 18 અને વોર્ડ નંબર 01 માંથી જે રીતે કરોડપતિ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે, તેણે અનેક તર્ક-વિતર્કને જન્મ આપ્યો છે. સંજયકુમાર રામાધાર રામાનંદીનું નામ અત્યારે ચર્ચાના ચગડોળે ચઢ્યું સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18 એટલે કે લીંબાયત-પરવટ-કુંભારીયા વિસ્તારમાં કોંગ્રેસે જેમના પર ભરોસો મૂક્યો હતો તેવા સંજયકુમાર રામાધાર રામાનંદીનું નામ અત્યારે ચર્ચાના ચગડોળે ચઢ્યું છે. સંજયકુમાર માત્ર એક ઉમેદવાર નહોતા, પરંતુ તેઓ પોતાની મજબૂત આર્થિક સ્થિતિ અને સામાજિક વર્ચસ્વ માટે જાણીતા હતા. 52 વર્ષની પરિપક્વ વય અને 12 પાસ સુધીનું શિક્ષણ ધરાવતા રામાનંદીએ પોતાની એફિડેવિટમાં જે મિલકત જાહેર કરી હતી તે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. તેમની પાસે લાખોની રોકડ રકમ, બેંકોમાં મસમોટી ફિક્સ્ડ ડિપોઝિટ અને ખાસ કરીને 300 ગ્રામ સોનું જેની કિંમત આશરે 21 લાખ રૂપિયા થાય છે તે તેમની સધ્ધરતાની સાક્ષી પૂરતું હતું. તેમની પત્ની પાસે પણ 250 ગ્રામ જેટલું સોનું અને લાખોની રોકડ હોવાનું સામે આવ્યું હતું. આટલું ઓછું હોય તેમ, તેમની પાસે રોયલ એનફીલ્ડ બુલેટથી લઈને મારૂતિ સુઝુકી બ્રેઝા અને ખેતી માટે જોન ડીયર ટ્રેક્ટર જેવા સાધનો પણ ઉપલબ્ધ હતા. જમીન મિલકતની વાત કરીએ તો કામરેજ અને વાલોડમાં તેમની કરોડોની સહ-માલિકીની ખેતીની જમીન અને સણીયા હેમાદમાં રહેણાંક પ્લોટ તથા મકાન છે. આટલી મજબૂત બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવાર જ્યારે ચૂંટણીના રણમેદાનમાંથી પીછેહઠ કરે ત્યારે તેની પાછળ ચોક્કસપણે કોઈ મોટું કારણ હોવાની આશંકા સેવાઈ રહી છે. બોની પટેલ પણ કરોડોના માલિકબીજી તરફ વોર્ડ નં. 1 એટલે કે જહાંગીરપુર-કોસાડ વિસ્તારમાં પણ આવી જ કંઈક સ્થિતિ સર્જાઈ છે. અહીંથી કોંગ્રેસના યુવા અને શિક્ષિત ચહેરા તરીકે ઉભરી આવેલા બોની જગદીશભાઈ પટેલે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. 36 વર્ષીય બોની પટેલે વર્ષ 2010માં હાયર સેકન્ડરી શિક્ષણ પૂર્ણ કર્યું હતું અને તેઓ વ્યવસાયે આધુનિક રોકાણકાર તરીકેની છબી ધરાવતા હતા. તેમની એફિડેવિટ મુજબ તેઓ શેરબજારમાં ખૂબ જ મોટું રોકાણ ધરાવે છે. 101 જેટલી નામી-અનામી કંપનીઓમાં તેમના શેરની કિંમત લાખોમાં અંકાઈ રહી છે. તેમની પત્નીના નામે પણ અનેક કંપનીઓના શેર હોવાનું બહાર આવ્યું છે. બ્રેઝા ઉપરાંત મહિન્દ્રા થાર જેવી લક્ઝરી ગાડીઓવાહનોના શોખીન બોની પટેલ પાસે મારૂતિ બ્રેઝા ઉપરાંત મહિન્દ્રા થાર જેવી લક્ઝરી ગાડીઓ પણ છે. વરીયાવ વિસ્તારમાં બ્લોક નંબર 1024 અને 1062 હેઠળ તેમની પાસે જે ખેતીની જમીન છે તેના એક હિસ્સાની જ બજાર કિંમત આશરે 4.72 કરોડ રૂપિયા દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત મોરા ગામ અને ભરૂચમાં પણ તેમની સ્થાવર મિલકતો છે. આટલા સમૃદ્ધ ઉમેદવારનું ફોર્મ પરત ખેંચાતા કોંગ્રેસના સ્થાનિક સમીકરણો સાવ વિખેરાઈ ગયા છે. ભુપેન્દ્ર પટેલે આ નાનકડી ભૂલને કારણે ચૂંટણી લડવાની તક ગુમાવીમાત્ર ફોર્મ પરત ખેંચાવાની ઘટનાઓ જ કોંગ્રેસ માટે મુસીબત નથી બની, પરંતુ વોર્ડ નં. 12 માં જે રીતે ઉમેદવાર ભુપેન્દ્ર પટેલનું ફોર્મ રદ થયું તે ઘટનાએ પક્ષની શિસ્ત અને ગંભીરતા પર પણ સવાલો ઉભા કર્યા છે. ભુપેન્દ્ર પટેલ જેવા અનુભવી વ્યક્તિ જ્યારે ઉમેદવારી ફોર્મમાં પોતાના પક્ષનું નામ લખવાનું જ ભૂલી જાય, ત્યારે તેને ટેકનિકલ ભૂલ કહેવી કે ઘોર બેદરકારી તે એક પ્રશ્ન છે. આ નાનકડી ભૂલને કારણે તેમણે ચૂંટણી લડવાની તક ગુમાવી દીધી છે. આમ, સુરતના જુદા જુદા વોર્ડમાં કોંગ્રેસના હાથમાંથી એક પછી એક બેઠકો સરકી રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. રેશમા ચૌહાણે કોંગ્રેસના ધબકારા વધાર્યા હતાઆ સાથે વોર્ડ નંબર 23ના કોંગ્રેસના ઉમેદવાર રેશમા ચૌહાણ ગઈ કાલે આખી રાત કોંગ્રેસથી સંપર્ક વિહોણા બન્યા હતાં, તેમનો મોબાઈલ ફોન પણ બંધ આવતો હતો. જેથી કોંગ્રેસના ધબકારા વધી ગયા હતા અને સવાર પડતા જ આ ઉમેદવાર સામે આવ્યા હતા અત્યારે કોંગ્રેસે રાહતનો શ્વાસ લીધો હતો. વિરોધ પક્ષના કરોડપતિ ઉમેદવારો પીછેહઠ કરતા રાજકીય ચર્ચાઆ સમગ્ર ઘટનાક્રમને જોતા એવું લાગે છે કે સુરત કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ અથવા કોઈ અદ્રશ્ય દબાણ કામ કરી રહ્યું છે. જ્યારે ભાજપ જેવો મજબૂત પક્ષ સામે હોય ત્યારે વિરોધ પક્ષે વધુ મજબૂતાઈથી લડવાનું હોય છે, પરંતુ અહીં તો ચિત્ર સાવ ઉલટું જ જોવા મળી રહ્યું છે. જે ઉમેદવારો પાસે કરોડોની મિલકત હતી, જેઓ આર્થિક રીતે ચૂંટણી ખર્ચ ઉઠાવવા સક્ષમ હતા અને જેમની પાસે પોતાનું ચોક્કસ જનસમર્થન હતું, તેઓ જ મેદાન છોડી રહ્યા છે તે વાત કાર્યકરોમાં હતાશા પેદા કરી રહી છે. સામાન્ય રીતે ચૂંટણીમાં ઉમેદવારો ફોર્મ ખેંચતા હોય છે, પરંતુ જ્યારે મુખ્ય વિરોધ પક્ષના કરોડપતિ ઉમેદવારો આ રીતે પીછેહઠ કરે ત્યારે લોકશાહીની તંદુરસ્તી સામે પણ આંગળી ચીંધાય છે. કોંગ્રેસના નેતૃત્વ માટે હવે આ ડેમેજ કંટ્રોલ કરવું લગભગ અશક્ય બન્યું કે શું?સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના આ ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચાવા પાછળ માત્ર વ્યક્તિગત કારણો જ જવાબદાર હોય તેવું માનવું મુશ્કેલ છે. સુરત મહાનગરપાલિકાની સત્તા જાળવી રાખવા માટે ભાજપ જે રીતે આક્રમક રણનીતિ અપનાવી રહ્યું છે, તેની સામે કોંગ્રેસના ઉમેદવારો ટકી શક્યા નથી કે પછી અંદરખાને કોઈ ગોઠવણ થઈ છે તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ હાલના તબક્કે તો સુરતના રાજકારણમાં આ ફોર્મ પરત ખેંચવાની લીલાએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે. કોંગ્રેસના નેતૃત્વ માટે હવે આ ડેમેજ કંટ્રોલ કરવું લગભગ અશક્ય બની ગયું છે કારણ કે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂરી થઈ ચૂકી છે. હવે જે ઉમેદવારો મેદાનમાં બાકી રહ્યા છે, તેમની પાસે સંસાધનોની કેટલી અછત હશે અને તેઓ કઈ રીતે સત્તાધારી પક્ષનો સામનો કરશે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 8:57 pm

બેંક સાથે છેતરપિંડી કેસમાં CBI કોર્ટ સજા ફટકારી:યુકો બેંકના પૂર્વ અધિકારીઓ અને ખાનગી પ્રોપ્રાઈટરને 3 વર્ષની સખત કેદ અને 30 લાખનો દંડ

CBI કોર્ટ અમદાવાદ દ્વારા યુકો બેંકની ચિલોડા શાખાના તત્કાલીન સિનિયર મેનેજર મેદમ ભગવતી પ્રસાદ, તત્કાલીન આસિસ્ટન્ટ મેનેજર ભાસ્કર સોની અને મેસર્સ જાગૃતિ પ્લાસ્ટિક્સના પ્રોપ્રાઈટર જાગૃતિબેન નિમિષ પરીખને બેંક છેતરપિંડીના કેસમાં ત્રણ વર્ષની સખત કેદ અને કુલ 30 લાખ રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે. 6.43 કરોડની કેશ ક્રેડિટ લિમિટ છેતરપિંડીથી મંજૂર કરી હતીCBI એ 27 એપ્રિલ, 2016ના રોજ આરોપી મેદમ ભગવતી પ્રસાદ, ભાસ્કર સોની, જાગૃતિબેન પરીખ અને અન્ય વિરુદ્ધ આ ગુનો નોંધ્યો હતો. આરોપ મુજબ મેદમ ભગવતી પ્રસાદે યુકો બેંકની ચિલોડા શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકેના હોદ્દા પર રહીને 17 અલગ-અલગ વ્યક્તિઓને બનાવટી દસ્તાવેજોના આધારે કુલ 6.43 કરોડની કેશ ક્રેડિટ લિમિટ છેતરપિંડીથી મંજૂર કરી વહેંચી હતી. યુકો બેંકને મોટું નુકસાન થયું હતુંવધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ડિસેમ્બર,2015 સુધીમાં ઉપરોક્ત 17 ખાતાઓમાં કુલ બાકી રકમ 3.63 લાખ હતી. મોટાભાગના લોન ખાતા NPA માં ફેરવાઈ ગયા હતા અને બાકીના ખાતાઓ NPA થવાની અણી પર હતા, જેના પરિણામે યુકો બેંકને મોટું નુકસાન થયું હતું. ચાર્જશીટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતોતપાસ પૂર્ણ થયા બાદ, સીબીઆઈએ 17 નેવેમ્બર, 2017 ના રોજ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. ટ્રાયલ દરમિયાન, CBI કોર્ટે 23 નવેમ્બર, 2021ના આદેશ દ્વારા CBIને અલગ-અલગ ચાર્જશીટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જે બાદમાં 10 જૂન, 2022ના રોજ દાખલ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 8:52 pm

નેચરલ ડાયમંડમાં 4.41% અને લેબગ્રોન ડાયમંડમાં 6.52%ની નિકાસ ઘટી:ચાંદીના ઘરેણાંની નિકાસમાં 59% અને પ્લેટિનમમાં 45%નો જંગી ઉછાળો, GJEPC રિપોર્ટ 2025-26

ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે વર્ષ 2025-26 મિશ્ર પ્રતિસાદ આપનારું રહ્યું છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી ચાલી રહેલી મંદી હજુ પણ યથાવત જોવા મળી રહી છે. આ વર્ષે માત્ર કુદરતી હીરા જ નહીં, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ધૂમ મચાવતા લેબગ્રોન હીરાના એક્સપોર્ટમાં પણ ગાબડું પડ્યું છે, જે ઉદ્યોગકારો માટે ચિંતાનો વિષય બન્યો છે. નેચરલ ડાયમંડના એક્સપોર્ટમાં 5 હજાર કરોડનો ઘટાડોનેચરલ એટલે કે કુદરતી હીરાના માર્કેટમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. વર્ષ 2024-25માં નેચરલ કટ એન્ડ પોલિશ્ડ હીરાની નિકાસ 1.12 લાખ કરોડ રૂપિયા હતી, જે વર્ષ 2025-26માં ઘટીને 1.07 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આમ, નેચરલ હીરાના એક્સપોર્ટમાં 4.41% નો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક સ્તરે આર્થિક અસ્થિરતા અને રશિયા-યુક્રેન વોરના કારણે સપ્લાય ચેઈન પર થયેલી અસરની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર દેખાઈ રહી છે. લેબગ્રોન હીરાની ચમક પણ હવે ઓછી થવા લાગીછેલ્લા કેટલાક વર્ષોથી હીરા ઉદ્યોગમાં 'ગેમ ચેન્જર' ગણાતા લેબગ્રોન ડાયમંડ સેગમેન્ટમાં પણ પ્રથમ વખત મોટો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2024-25માં લેબગ્રોન હીરાનું એક્સપોર્ટ 10,711 કરોડ રૂપિયા હતું, જે ચાલુ વર્ષે ઘટીને 10,012 કરોડ રૂપિયા પર અટકી ગયું છે. એટલે કે તેમાં 6.52% નો ઘટાડો થયો છે. નિષ્ણાતોના મતે, લેબગ્રોન હીરાની વધતી જતી સપ્લાય અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટતા ભાવોને કારણે એક્સપોર્ટ વેલ્યુમાં આ ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકા અને ચીનની બજારોમાં નબળી માંગની અસરભારતના હીરા ઉદ્યોગ માટે અમેરિકા અને ચીન સૌથી મોટા બજારો છે. જોકે, આ બંને દેશોમાં હાલમાં આર્થિક સુસ્તી અને ગ્રાહકોની બદલાતી પસંદગીને કારણે હીરાની માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ખાસ કરીને હીરાના વિકલ્પ તરીકે હવે ગ્રાહકો અન્ય જ્વેલરી તરફ વળી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે સુરત અને મુંબઈના નિકાસકારોએ મોટા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે એકંદર ટર્નઓવર પર દબાણ વધ્યું છે. ગોલ્ડ જ્વેલરીમાં મિશ્ર ટ્રેન્ડ: સ્ટડેડ જ્વેલરીની માંગ વધીજ્વેલરી સેગમેન્ટની વાત કરીએ તો તેમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. પ્લેન ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં 3.98% નો ઘટાડો થયો છે, પરંતુ બીજી તરફ હીરા કે રત્નો જડેલી 'સ્ટડેડ ગોલ્ડ જ્વેલરી'ની માંગમાં 11.16% નો ઉછાળો આવ્યો છે. આ દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં હવે ગ્રાહકો સામાન્ય સોનાના બદલે વેલ્યુ-એડેડ અને ડિઝાઈનર જ્વેલરી ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. સિલ્વર અને પ્લેટિનમ જ્વેલરી ઉદ્યોગ માટે ‘તારણહાર’જ્યારે હીરામાં મંદી છે, ત્યારે સિલ્વર (ચાંદી) અને પ્લેટિનમ જ્વેલરીમાં અભૂતપૂર્વ તેજી જોવા મળી છે. સિલ્વર જ્વેલરીના એક્સપોર્ટમાં રેકોર્ડબ્રેક 59.95% નો વધારો થયો છે, જે વધીને 13,013 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. તેવી જ રીતે પ્લેટિનમ જ્વેલરીના નિકાસમાં પણ 45.88% નો વધારો નોંધાયો છે. મોંઘા હીરા અને સોનાના વિકલ્પ તરીકે યુવા પેઢીમાં ચાંદી અને પ્લેટિનમના આધુનિક ઘરેણાંનું આકર્ષણ વધ્યું હોવાનું આ આંકડાઓ સાબિત કરે છે. ગ્લોબલ ડિમાન્ડ નબળી પણ નવી તકો ઊભી થશે: દિનેશ નાવડિયાઆઈડીઆઈ (IDI) ના ચેરમેન દિનેશ નાવડિયાએ આ પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે, 2025-26ના આંકડા સ્પષ્ટ કરે છે કે હીરા ઉદ્યોગ માટે હજુ પડકારભર્યો સમય છે. ગ્લોબલ ડિમાન્ડમાં વ્યાપક નબળાઈ છે. જોકે, સિલ્વર અને પ્લેટિનમમાં જે રીતે તેજી આવી છે, તે ઉદ્યોગ માટે નવી આશાની કિરણ છે. યુવા ગ્રાહકો હવે પરંપરાગત ઘરેણાં છોડી વિકલ્પ જ્વેલરી તરફ વળી રહ્યા છે, જે આગામી સમયમાં ગ્રોથનું મુખ્ય કારણ બનશે. ભલે વોલ્યુમ ઓછું હોય, પણ કિંમતો વધવાને કારણે એક્સપોર્ટ વેલ્યુ ટકી રહી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 8:44 pm

કોંગ્રેસ પ્રમુખ અને ઉમેદવારોની અટકાયત મુદ્દે રાજકારણ ગરમાયુ:આવતીકાલથી અચોક્કસ મુદત માટે 'ભાવનગર બંધ'ની એલાનની ચીમકી

ભાવનગર સ્થાનિક ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ઉગ્ર બન્યો છે. કોંગ્રેસના શહેર પ્રમુખ અને અન્ય ઉમેદવારોની પોલીસ અટકાયત તેમજ કથિત અપહરણના મામલે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. કોંગ્રેસના આગેવાનોએ પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો કરી, ન્યાય ન મળવાની સ્થિતિમાં 'અચોક્કસ મુદત માટે ભાવનગર બંધ' અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ​શું છે સમગ્ર મામલો? ​કોંગ્રેસના નેતાઓના જણાવ્યા હતું કે, જે વ્યક્તિના કથિત અપહરણના નામે ફરિયાદ થઈ છે, તે વ્યક્તિ પોતે ફેસબુક લાઈવ (FB Live) પર આવીને સ્પષ્ટતા કરી રહ્યો છે કે તે સુરક્ષિત છે અને પોતાની મરજીથી બહાર ગયો છે તેમ છતાં, આ મામલે કોંગ્રેસ પ્રમુખ અને ઉમેદવારોની ધરપકડ કરવામાં આવી છે, જેને કોંગ્રેસે સત્તાધારી પક્ષના ઈશારે કરાયેલી કિન્નાખોરી ગણાવી છે, ​તંત્ર સામે ગંભીર આક્ષેપો કોંગ્રેસ પ્રતિનિધિમંડળે એસપીને મળીને તમામ પુરાવા અને પેનડ્રાઈવ સોંપી છે, જોકે, ત્યારબાદ ડી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવાનો અને પીઆઈ દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળ્યો હોવાનો આક્ષેપ કરાયો છે, આગેવાનોએ જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસરને પણ રજૂઆત કરી છે, તેમણે જણાવ્યું કે હાલ આખું તંત્ર ચૂંટણી પંચના તાબા હેઠળ છે, ત્યારે વિપક્ષના ઉમેદવારોનું નૈતિક મનોબળ તોડવા માટે પોલીસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ​કોંગ્રેસની મુખ્ય માંગણીઓ અને ચીમકી જો પોલીસ અને તંત્ર કાયદા મુજબ કામ નહીં કરે અને એકતરફી કાર્યવાહી ચાલુ રાખશે, તો આવતીકાલ સવારથી ભાવનગર અચોક્કસ મુદત માટે બંધ રાખવાનું એલાન અપાશે, કોંગ્રેસે ચીમકી આપી છે કે જો ન્યાય નહીં મળે તો તેઓ ઘરે-ઘરે જઈને લોકોને જાગૃત કરશે અને ભાવનગરની ચૂંટણી જ કેન્સલ કરાવવાની માંગ કરશે, કોઈપણ રાજકીય પક્ષના કાર્યકર ચૂંટણી ન લડે તેવી અપીલ પણ કરવામાં આવી શકે છે, ​કોંગ્રેસના પ્રવક્તાએ આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, જો ભારતીય જનતા પક્ષમાં હિંમત હોય તો સીધી લડાઈ લડે, પોલીસને વચ્ચે ન રાખે. જો તેમની લોકપ્રિયતા ઘટી ગઈ હોય તો તે જાહેર કરી દેવું જોઈએ, સત્તા માટે અનીતિ આચરવાને બદલે બે વર્ષ પછી ચૂંટણી યોજવી જોઈએ, અને આગામી કલાકોમાં આ મામલે કેવા વળાંક આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 8:35 pm

'મહિલા ગુનાહિત માનસિકતા અને ઝનૂની સ્વભાવની, તેને દીકરીને મારી નાખી':સેશન્સ કોર્ટે માતાની જામીન અરજી ફગાવી, અમરાઈવાડીમાં અઢી મહિનાની દીકરી પાણીની ટાંકીમાં પડવાથી મોતનો મામલો

અમદાવાદના અમરાઇવાડી પોલીસ મથકે ચાલુ વર્ષે આરોપી મોનિકા મકવાણા સામે સઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો છે. જે મુજબ તેની અઢી મહિનાની દીકરી જ્યારે માતા પાસે હતી ત્યારે પાણીની ટાંકીમાં પડી જવાથી તેનો મૃત્યુ નીપજ્યું હતું. દીકરીને બચાવવા માતાએ કોઈ કોશિશ કરી નહોતી. આ ઘટનામાં ફરિયાદી પોતે મૃતક દીકરીના પિતા અને આરોપીના પતિ છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદી એવા આરોપીના પતિએ પણ વકીલ રોકીને આરોપીને જામીન આપવા વિરુદ્ધ દલીલ કરી હતી કે, મહિલા ગુનાહિત માનસિકતા ધરાવે છે અને ઝનૂની સ્વભાવની છે. તેને જાણી જોઈને દીકરીને મારી નાખી છે. તેમજ જો તેને જામીન મળે તો મોટી દીકરીને પણ મારી નાખે તેમ છે. 'પાણીની ટાંકી ઉપર તગારું મૂકીને ઢાંકી દીધી હતી, જેથી મોત થયું'મહિલાએ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેમાં જણાવ્યા મુજબ મહિલા જ્યારે પાણી ભરવા ગઈ ત્યારે તેનો પગ લપસ્યો હતો અને તેની અઢી મહિનાની દીકરી પાણીની ટાંકીમાં પડી ગઈ હતી. તેને બચાવવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. તેને ડર લાગ્યો હતો તે ઘરમાં મોટો ઝઘડો થશે, આથી તેને પાણીની ટાંકી ઉપર તગારું મૂકીને ઢાંકી દીધી હતી. જેમાં દીકરીનું મૃત્યુ નિપજ્યું હતું. આ પણ વાંચો: માતાના હાથમાંથી દીકરી છટકીને પાણીની ટાંકીમાં પડી:બચાવી ના શકતા આરોપ ન આવે તે માટે ઢાંકણું બંધ કરી ઉપર તગારુ મૂક્યું પાણીની ટાંકીમાં પડેલી દીકરીને કાઢવા કોઈ પ્રયત્ન કર્યો નહોતોઅરજદારના વકીલે રજૂઆત કરી હતી કે, મહિલા પોતે ડરી ગઈ હતી. આ એક અકસ્માત છે, તેને જાણી જોઈને તેને આવું કોઈ કૃત્ય કર્યું નથી. મહિલાને બીજી પુત્રી પણ છે, જે સાત વર્ષની છે. સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે મહિલાએ પાણીની ટાંકીમાં પડેલી દીકરીને કાઢવા કોઈ પ્રયત્ન કર્યો નહોતો કે બચાવ માટે પણ કોઈની મદદ લીધી નહોતી. કોર્ટે આરોપી માતાની જામીન નકારીકોર્ટે નોંધ્યું હતું કે, આરોપીએ પોતાની અઢી માસની દીકરીને બચાવવા કોઈ પ્રયત્ન કર્યો નથી કે તને કોઈ મદદ માગી નથી. એક માતા તરીકેનું આ વર્તન અમાનવીય છે. ત્યારે તેના જામીન નકારવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 8:31 pm

'મહેનત અને સેલ્ફ સ્ટડીથી સફળતા મળી':ધો.10 CBSEના તુલીપ સ્કૂલના ટોપર્સની પ્રેરણાદાયી વાતો, અનેક સ્કૂલોમાં 100% પરિણામ

CBSEનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. દેશભરમાં 25 લાખ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે ગુજરાતમાં 50 હજારથી વધુ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. અમદાવાદની પણ મોટાભાગની સ્કૂલોની 100 ટકા પરિણામ આવ્યું છે. બોપલના તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 25 વિધાર્થીઓએ 90 ટકાથી વધુ પરિણામ મેળવ્યું છે. કહાની પટેલ નામની વિદ્યાર્થીને જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષા માટે બહુ તૈયારી કરી હતી. સેમ્પલ પેપર, ટીચરે લીધેલી પરીક્ષા, ઘરે તૈયારી એમ તમામ પ્રકારની મહેનત બાદ આજે સ્કૂલમાં ટોપર થઈ છું. હવે હું PCM લઈને તેમાં પણ આગળ વધીશ. મારી વીકનેસ ઈંગ્લિશમાં હતી તો તેમાં વધારે ફોકસ કર્યું હતુંમૈત્રી નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, ખૂબ જ અભ્યાસ કર્યો હતો. સ્કૂલ અને ટ્યુશનમાં વારંવાર પરીક્ષાઓ આપી હતી.બોર્ડના સેમ્પલ પેપર,સેલ્ફ સ્ટડી પર પૂરું ધ્યાન આપ્યું હતું. આગળ જઈને મારે PCM લેવું છે. મહેનત તમામ વિષયમાં જરૂરી છે. ધોરણ 10માં બધા વિષયમાં મહેનત કરવી જ પડે છે. કોઈપણ વિષય વધારાનો વિષય નથી હોતો. અત્યારે મહેનત કરીશું તો આગળ જતા સારું પરિણામ મળશે. મારી વીકનેસ ઇંગલિશ સબ્જેક્ટ હતો પણ મેં ઇંગલિશમાં સૌથી વધારે ફોકસ કર્યું અને મારે 97 માર્ક્સ આવ્યા છે. પેપરની તૈયારીમાં સેન્ટ્રલ બોર્ડની બુક્સનો જ વધારે રેફરન્સ લીધો હતોહર્ષ નામના વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે મારા ફેવરેટ સબ્જેક્ટ મેથ્સ અને સાયન્સ છે. સાયન્સમાં મોસ્ટલી કેમેસ્ટ્રી અને ફિઝિક્સ વધારે ગમતું હતું. મહેનત વધારે જ કરી હતી NCERT પર આધાર હતો. રેફરન્સ બુક પર વધારે ધ્યાન આપ્યું હતું. સેન્ટ્રલ બોર્ડથી જે બુક આવી હતી તેના પર પણ વધારે ધ્યાન આપ્યું હતું. તન્મયા સાહુ નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા હું મારા જૂના ઘરે બોપલ ખાતે ઇસ્કોન પ્લેટિનમ રહેતી હતી તે આગ લાગી હતી ત્યાંથી મારો બચાવ થયો હતો.આ બનાવ બાદ પણ મેં ધોરણ 10 માટે ખૂબ મહેનત કરી હતી.જે ઘટના બની તેને ભૂલીને હું ધોરણ 10 નો અભ્યાસ કરી રહી હતી. જ્યારે મને ટેન્શન હોય ત્યારે સરળ સબ્જેક્ટ વાંચી લેતી હતી.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 8:26 pm

યુવતીની છેડતી મામલે બે પરિવાર વચ્ચે હિંસક અથડામણ:દહેગામના કડજોદરાના વકીલનું શંકાસ્પદ મોત થતા ભારે તંગદિલી, લાશ સ્વીકારવાનો પરિવારનો ઈનકાર

​દહેગામ તાલુકાના કડજોદરા ગામે યુવતીની છેડતી જેવી સંવેદનશીલ બાબતે આજે એક જ જ્ઞાતિના બે પરિવારો સામસામે આવી જતાં ગામમાં રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ હતી. લાકડીઓ અને પથ્થરમારા સાથે થયેલી આ હિંસક અથડામણમાં બંને પક્ષના છ જેટલા વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે આ ઝઘડા બાદ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારના મોભી ચંપુસિંહ વિહતસિંહ ઝાલાનું અચાનક નિધન થતાં સમગ્ર મામલાએ ગંભીર વળાંક લીધો છે. આ મામલે હાલમાં રખિયાલ પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. યુવતીની છેડતી બાબતે બે જૂથ આમને સામને આવી ગયા દહેગામ તાલુકાના કડજોદરા ગામમાં યુવતીની છેડતી બાબતે બે જૂથ આમને સામને આવી ગયા હતા. આ અથડાણ દરમ્યાન વકીલ ચંપુસિંહ વિહતસિંહ ઝાલા નું શંકાસ્પદ મોત થયું છે . જેને લઈને મૃતક ચંપુસિંહના પરિવારે ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે ઝઘડા દરમિયાન વિરોધી પક્ષ દ્વારા કરવામાં આવેલા ગડદાપાટુના મારના કારણે તેમનું મૃત્યુ થયું છે. હત્યાનો ગુનો ન નોંધાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારનો ઈનકારઆ ઘટનાની ગંભીરતાને જોતા રખિયાલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એલ. ગોયલ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો કડજોદરા દોડી ગયો હતો. પોલીસે મૃતકની લાશને પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવવા માટે દહેગામ સરકારી હોસ્પિટલ મોકલી આપી હતી. પરંતુ પ્રાથમિક પીએમ રિપોર્ટમાં મૃતકના શરીર પર કોઈ દેખીતી ઈજાના નિશાન ન મળતા પોલીસે હાલમાં હત્યાની કલમ ઉમેરવાનો ઈનકાર કરી દીધો છે. આ વાતને લઈને પરિવારમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અને જ્યાં સુધી આરોપીઓ સામે હત્યાનો ગુનો ન નોંધાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. વકીલોએ એએસપીને રજૂઆત કરી ન્યાયિક તપાસની માંગ કરી​આ ઘટનાના પગલે વકીલ આલમમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આજે મોટી સંખ્યામાં બાર એસોસિએશનના સભ્યો અને વકીલ મિત્રો રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા. વકીલોએ એએસપી આયુષ જૈનને રૂબરૂ રજૂઆત કરી ન્યાયિક તપાસની માંગ કરી છે. આ તરફ આ સમગ્ર હિંસક અથડામણમાં ગામના સરપંચ અરવિંદસિંહ ઝાલા અને તેમના કૌટુંબિક સભ્યોની સીધી સંડોવણી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગામમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયોહાલમાં કડજોદરા ગામમાં પરિસ્થિતિ તંગ છે. સરપંચ પક્ષ અને મૃતક પક્ષ વચ્ચેના વિવાદને પગલે ગામમાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ ઝઘડામાં ઘવાયેલા અન્ય છ લોકોને હાલમાં અલગ અલગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. 'રાયોટિંગ , કલમ 304 સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ'એક તરફ પીએમ રિપોર્ટ અને બીજી તરફ પરિવારના આક્ષેપો વચ્ચે પોલીસ અત્યારે મડાગાંઠ ઉકેલવા મથામણ કરી રહી છે. આ અંગે એએસપી આયુષ જૈને કહ્યુ કે, હાલમાં રાયોટિંગ , કલમ 304 સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ રહી છે. આ મામલે બંને પક્ષે ક્રોસ ફરિયાદ લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 8:21 pm

સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ:295 બેઠક પર 841 ઉમેદવારો, 6 બિનહરીફ; 39 ફોર્મ પરત ખેંચાયા

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ 295 બેઠકો પર 841 ઉમેદવારો ચૂંટણી લડશે. કુલ 39 ઉમેદવારી પત્રો પરત ખેંચાયા છે, જ્યારે 6 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. બિનહરીફ થયેલા ઉમેદવારોમાં પાંચ ભાજપના અને એક કોંગ્રેસના છે. સાબરકાંઠા જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો માટે 107 ઉમેદવારો મેદાનમાં છે. આઠ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા છે. જોકે, જિલ્લા પંચાયતની એકપણ બેઠક બિનહરીફ થઈ નથી. જિલ્લાની આઠ તાલુકા પંચાયતની કુલ 170 બેઠકોમાંથી ત્રણ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. હવે 167 બેઠકો પર 504 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. કુલ 14 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. હિંમતનગર તાલુકા પંચાયતની નિકોડા બેઠક પર ભાજપના નિર્મલ પટેલ અને વક્તાપુર બેઠક પર ભાજપના ઉષાબેન પટેલ બિનહરીફ ચૂંટાયા છે. આ ઉપરાંત, પ્રાંતિજ તાલુકા પંચાયતની પીલુદ્રા બેઠક પર ભાજપના તૃપ્તિબેન પટેલ પણ બિનહરીફ રહ્યા છે. હિંમતનગર, ઈડર અને વડાલી નગરપાલિકાની કુલ 93 બેઠકો પર 229 ઉમેદવારો ચૂંટણી લડશે. આ નગરપાલિકાઓમાં 16 ઉમેદવારી પત્રો પરત ખેંચાયા છે અને ત્રણ બેઠકો બિનહરીફ થઈ છે. પ્રાંતિજ નગરપાલિકાની એક વોર્ડની પેટાચૂંટણીમાં બે ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે, જ્યાં એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. હિંમતનગર નગરપાલિકાના 11 વોર્ડની કુલ 43 બેઠકો માટે 82 ઉમેદવારો મેદાનમાં છે. અહીં છ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. કુલ 44 બેઠકોમાંથી ત્રણ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જેમાં બે ભાજપ અને એક કોંગ્રેસના ઉમેદવારનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર 3માં કોંગ્રેસના રણછોડભાઈ પરમાર બિનહરીફ ચૂંટાયા છે, જ્યારે વોર્ડ નંબર 9માં ભાજપના વાચાબેન જોશી અને શિલ્પાબેન પટેલ બિનહરીફ જાહેર થયા છે. ઈડર નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો પર 86 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે, જ્યાં ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. વડાલી નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો પર 61 ઉમેદવારો ચૂંટણી લડશે, અહીં છ ઉમેદવારી પત્રો પરત ખેંચાયા છે. પ્રાંતિજ નગરપાલિકાની પેટાચૂંટણીમાં એક વોર્ડની એક બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થશે. આ બેઠક પરથી એક ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 8:17 pm

સુરત ક્રાઈમ બ્રાંચે મધ્યપ્રદેશથી રીઢા આરોપીને દબોચ્યો:ટેકરી પર ઘર હોવાથી પોલીસને જોઈ ભાગી જતો રીઢો વાહનચોર 5 વર્ષે ઉમરાલી બજારમાંથી ઝડપાયો

સુરત શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા અને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા એક રીઢા આરોપીને મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતેથી દબોચી લીધો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી હતી. આ દરમિયાન નાસતા ફરતા સ્કોડના પોલીસ જવાનોને મળેલી સચોટ બાતમીના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ઉમરાલી બજારમાંથી 21 વર્ષીય તેરસીંગ ભવાનસીંગ ભીલાલાની ધરપકડ કરવામાં આવી છે. અલગ-અલગ સ્થળોએથી ત્રણ મોટર સાયકલની ચોરી હતીમળતી માહિતી મુજબ, પકડાયેલ આરોપી વર્ષ 2021માં સુરતના ડીંડોલી વિસ્તારમાં રહીને મજૂરીકામ કરતો હતો. તે સમયે આરોપી અને તેના સાથીદારોએ સાથે મળીને 27 ફેબ્રુઆરી 2021ના રોજ ડીંડોલીના મહાદેવનગર ખાતે અલગ-અલગ સ્થળોએથી ત્રણ મોટર સાયકલની ચોરી કરી હતી. આ ચોરાયેલા વાહનોમાં 35 હજારની કિંમતનું સુઝુકી મોટર સાયકલ, 60 હજારની કિંમતનું બજાજ પલ્સર અને 35 હજારની કિંમતનું સ્પ્લેન્ડર મોટર સાયકલ સામેલ હતું. આશરે 1.30 લાખની કિંમતના વાહનો ચોરી કરીને આરોપીઓ પોતાના વતન મધ્યપ્રદેશ ભાગી ગયા હતા. આરોપી પોલીસની ગાડી જોઈને ભાગ્યો હતોજોકે, તે સમયે પોલીસ દ્વારા આરોપીના રહેઠાણ પર દરોડા પાડીને ત્રણેય ચોરાયેલા વાહનો રિકવર કરી લેવામાં આવ્યા હતા, પરંતુ આરોપી તેરસીંગ પોલીસને થાપ આપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોતાની ધરપકડ ટાળવા માટે તે સતત નાસતો ફરતો રહેતો હોવાથી નામદાર કોર્ટ દ્વારા તેની વિરુદ્ધ સી.આર.પી.સી. કલમ 70 મુજબ ધરપકડનું વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. આરોપીનું વતન મધ્યપ્રદેશના સુમનિયાવટ ગામમાં ટેકરી પર આવેલું હોવાથી, પોલીસની ગાડી કે કોઈ અજાણી વ્યક્તિ ગામમાં આવતા જ તેને દૂરથી જાણ થઈ જતી અને તે નાસી જતો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમે ઉમરાલી બજારમાં સાદા ડ્રેસમાં વોચ ગોઠવીને ઝડપ્યોઆ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી વર્ષમાં એક વાર અનાજ વેચવા માટે તેના વતન નજીકના ઉમરાલી બજારમાં આવે છે. આ ચોક્કસ બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઉમરાલી બજારમાં સાદા ડ્રેસમાં વોચ ગોઠવી હતી અને જેવો આરોપી અનાજ વેચવા માટે બજારમાં પહોંચ્યો કે તુરંત જ તેને કોર્ડન કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ આરોપીને સુરત લાવી તેની વિરુદ્ધ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 8:16 pm

સુરત મનપામાં BJP, કોંગ્રેસ અને ‘આપ’ વચ્ચે કાંટાની ટક્કર:120 બેઠકો માટે 483 ઉમેદવારો મેદાનમાં, આજે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 અંતર્ગત સુરત મહાનગરપાલિકાની ચૂંટણી હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે 16 ઉમેદવારોએ પોતાના નામાંકન પાછા ખેંચતા હવે સુરતના 30 વોર્ડની 120 બેઠકો માટે કુલ 483 ઉમેદવારો qવચ્ચે રાજકીય સંગ્રામ ખેલાશે. ખાસ કરીને આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે, જેના કારણે સુરતનું રાજકારણ ગરમાયું છે. 1059 ફોર્મમાંથી 561 રદ થતા સમીકરણો બદલાયાસુરત મનપાની ચૂંટણી પ્રક્રિયામાં શરૂઆતમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં કુલ 1059 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. જોકે, ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી ચકાસણી દરમિયાન ટેકનિકલ કારણોસર 561 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. આજે નામ પરત ખેંચવાની અંતિમ મુદત પૂર્ણ થતા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. હવે આગામી 26મી એપ્રિલના રોજ મતદાન યોજાશે, જેમાં શહેરના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નગરસેવકોની પસંદગી કરશે. ભાજપે તમામ બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા, 135 અપક્ષો પણ મેદાનમાંરાજકીય પક્ષોના ગણિત પર નજર કરીએ તો, સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ (BJP) તમામ 120 બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે 117 અને આમ આદમી પાર્ટીએ 111 ઉમેદવારોને ટિકિટ આપી છે. આ ઉપરાંત 135 જેટલા અપક્ષ અને અન્ય નાના પક્ષોના ઉમેદવારો પણ મુખ્ય પક્ષોના સમીકરણો બગાડવા માટે તૈયાર છે.ઉમેદવારીપત્રોની આખરી યાદી પ્રસિદ્ધ થતાની સાથે જ હવે શહેરના તમામ વોર્ડમાં ડોર-ટુ-ડોર પ્રચાર અને સોશિયલ મીડિયા વોર વેગવાન બનશે. શાંતિપૂર્ણ મતદાન માટે ચૂંટણી પંચની આખરી તૈયારીઓચૂંટણી પંચ અને વહીવટીતંત્ર દ્વારા સુરત મહાનગરપાલિકાની આ ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં યોજાય તે માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આદર્શ આચારસંહિતાના કડક પાલન સાથે પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સંવેદનશીલ બૂથો પર ખાસ વોચ રાખવા અને મતદારોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા તમામ સ્તરે સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 8:12 pm