આવતીકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતમાં શહેર ના આઠ રૂટ પર સીટી બસ સેવાનો પ્રારંભ થશે આવતીકાલે મહાનગરપાલિકાના 45માં સ્થાપના તથા શહેરમાં છેલ્લા ઘણા સમયથી સીટી બસ સેવા શરૂ કરવા તંત્ર દ્વારા તડા માર તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે આવતીકાલે PM નરેન્દ્ર મોદીની વર્ચ્યુલ હાજરી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રથમ તબક્કામાં આઠ રૂટ પર સીટી બસ સેવા શરૂ કરવામાં આવશે. 24 કરોડના ખર્ચે 100 બસો માટે પાર્કિગ માટે બસ ડેપો 14 ફેબ્રુઆરીએ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી લીલી જંડી ફરકાવીને બસ સેવાનું લોકાર્પણ કરનાર છે તે માટે સમગ્ર કાર્યક્રમનો તખ્તો તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને આ લોકાર્પણને લઈને મનપા ના 16 જેટલા અધિકારીઓને જવાબદારી પણ સોંપવામાં આવી છે આમ લાંબા સમય બાદ લોક આતુરતાનો અંત આવ્યો છે ત્યારેે આવતીકાલે શનિવારે બપોરે 12:30 કલાકે અધેવાડા સીટી બસ ડેપો ખાતે પ્રથમ ફેઝનુ લોકાર્પણ યોજાશે, જે માટે શહેરના અધેવાડા નજીક આવેલ ડી-માર્ટ ની સામે અંદાજિત 24 કરોડના ખર્ચે 100 બસો માટે પાર્કિગ, વર્કશોપ બિલ્ડીંગ, એડીમીનીસ્ટ્રેટિવ બિલ્ડીંગ અને ચાર્જીગ HT/LT પેનલ રૂમ સાથેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. બસનું 5 રૂપિયા થી લઈ 20 સુધીનું ભાડું પ્રથમ ફેઝમાં આઠ રૂટ પર સીટી બસ શરૂ કરવામાં આવશે, આ બસમાં ભાડું પણ તદ્દન વ્યાજબી નક્કી કરવામાં આવ્યું છે રૂપિયા 5 થી લઈને 20 રૂપિયા સુધીનાં ટીકીટ દર રાખવામાં આવ્યા છે, 0 થી 3 કિલોમીટર સુધી રૂપિયા 5, 3 થી 5 કિલોમીટર સુધી રૂપિયા 10, 5 થી 8 કિલોમીટર સુધીમાં રૂપિયા 15 તથા 8 કિલોમીટર સુધીમાં 20 રૂપિયા નું ભાડું રાખવામાં આવ્યું છે, આગામી 12 વર્ષ સુધી બીએમસી દ્વારા સીટી બસનું સંચાલન કરવામાં આવશે એવું કમિશનરે જણાવ્યું છે આઠ રૂટ પર સફળતાપૂર્વક ટ્રાયલ પૂર્ણ થયા બાદ રૂટની સંખ્યામાં વધારો કરવામાં આવશે ઉપરાંત અન્ય ફેરફારો પણ કરવામાં આવશે. બસની મુખ્ય વિશેષતાઓ અને સુવિધાઓ આ નવી ઈલેક્ટ્રિક બસો મુસાફરો માટે આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ કરાવશે, સંપૂર્ણ એસી અને હાઈટેક તમામ બસો સંપૂર્ણપણે એરકન્ડિશન્ડ છે બસમાં કેપેસિટી 25 મુસાફરોની બેસવાની ક્ષમતા, સુરક્ષા માટે બસમાં 4 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, દિવ્યાંગો માટે ટ્રાયસિકલ સાથે ચડવા માટેની ખાસ વ્યવસ્થા, ઓટોમેટિક દરવાજા અને મુસાફરો માટે સ્પેશિયલ હેન્ડલ્સ, આ બસ મહત્તમ 75 કિમી/કલાકની ઝડપે દોડી શકશે. રૂટ અને આયોજન શહેર 13 વોર્ડમાં ના અલગ-અલગ 8 રૂટ પર આ બસો દોડાવવાનું આયોજન છે, અંદાજે 8 કિમીની પેરીફેરીમાં આ સેવાનો લાભ મળશે, મુસાફરોની સુવિધા માટે શહેરમાં 150 જેટલા નવા પીકઅપ બસ સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યા છે, મેયર એ જણાવ્યું હતું કે, આ માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું,ભાવનગરના લોકોને આ બસ સેવાથી રિક્ષા ભાડામાંથી મુક્તિ મળશે, તેનો મને ખૂબ જ આનંદ છે. ગુજરાતમાં સૌથી પહેલો બસ ડેપો તૈયાર આ સાથે ભાવનગરમાં જે બસ ડેપો બનાવવામાં આવ્યો છે તે 24 કરોડના ખર્ચે ગુજરાતમાં સૌથી પહેલો બસ ડેપો તૈયાર કરી, આજે અમને ગૌરવ છે કે મેયરના નેતૃત્વમાં આ પહેલો ડેપો અને બસ ડિલિવરી મેળવવાની તક મળી છે, સાથે સાથે 14 કરોડના ખર્ચે ઓપરેશન અને મેન્ટેનન્સ માટે, ડ્રાઈવર-કંડક્ટરો માટે પણ મંજૂરી આપી દેવામાં આવી છે, ભાવનગરને 8 રૂટ ઉપર અલગ અલગ જગ્યાએ પ્રાથમિક ધોરણે રૂટો નક્કી કર્યા છે, લોકોને 8 કિલોમીટરની પેરીફેરીમાં આ બસની સુવિધાઓ મળવાની છે, રુટ પરથી નડતરરૂપ દબાણો હટાવ્યા 14 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી ઈ-બસ સેવાનો પ્રારંભ થવા નો છે તેના ભાગરૂપે 17 રુટ નક્કી કરવામાં આવ્યા છે ત્યારે તેના ભાગરૂપે આગામી સમયમાં અંદાજે 50 જેટલી ઈ-બસો ગંગાજળિયા બસ સ્ટેશન ખાતે આવવાની હોવાથી, અને આજુબાજુ લોકો હોય તેઓ તેને ધ્યાનમાં રાખી ને જર્જરિત બિલ્ડીંગ ઉતારી લેવામાં આવી હતી તેમજ મહાનગરપાલિકા દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી, જેમાં બસોની સુચારૂ અવરજવર માટે રોડ પર નડતરરૂપ તમામ કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, તેમજ રુટ પર આવતા તમામ રિક્ષાઓ કે અન્ય વાહનો કે દબાણો અડચણરૂપ હટાવી લેવામાં આવ્યા છે, મહાનગરપાલિકાના 45 માં સ્થાપના દિવસની ઉજવણી પણ કરાશે આગામી 14 ફેબ્રુઆરી એ પીએમ ઈ-સીટી બસ લોકાર્પણ સમારોહ સાથોસાથ ભાવનગર મહાનગરપાલિકા નગરપાલિકા માંથી મહાનગરપાલિકાના માં સ્થાપના થયાના 45 માં સ્થાપના દિવસની ઉજવણી પણ કરવામાં આવનાર છે જે અંતર્ગત લાઈવ મ્યુઝિક બેન્ડ સાથે લોકનૃત્યનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે, આવતીકાલે શનિવારે રાત્રે 8 કલાકે કૈલાસ વાટીકા-બોરતળાવ ખાતે યોજાનાર કોન્સર્ટ માં લેડી સિંગર સાંત્વની ત્રિવેદી અને ખ્યાતનામ ગુજ્જુ અભિનેત્રી મમતા સોની આ પ્રોગ્રામમાં પર્ફોર્મન્સ કરશે, બસ સેવા લોકાર્પણ તથા 45 માં સ્થાપના રાજકીય, સામાજિક, અગ્રણીઓ, કલાકારો સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આગામી દિવસોમાં શરૂ થનાર સીટી બસના 17 રૂટ નક્કી કરાયા. ગંગાજળિયા સ્ટેશનથી ટોપથ્રી સિનેમા સુધી ( ગંગાજળિયા તળાવ, માધવ દર્શન, આતાભાઈ ચોક, ડી-માર્ટ, ટોપથ્રી સિનેમા) - 7.15 કિમિ. ઇનર સરર્ક્યુલર ( ગંગાજળિયા તળાવ, ક્રેસન્ટ, વાલકેટ ગેટ, ટેકરી ચોક, બોરડી ગેટ, દિપક ચોક, મહિલા કોલેજ, રવેચી, મંત્રેશ, શિવાજી સર્કલ, દુઃખી શ્યામ, રામમંત્ર, પાણીની ટાંકી, આર.ટી.ઓ, કુંભારવાડા પાણીની ટાંકી, અલકા ટોકીઝ, ચાવડી ગેટ, પાનવાડી, ગંગાજળિયા તળાવ)-17.79 કિમિ. સીદસર સીટીથી રુવાપરી ( સીદસર ગામ ચોક, આર.ટી.ઓ સર્કલ, કલેકટર ઓફીસ, કાળાનાળા સર્કલ, ગંગાજળિયા તળાવ, રૂવાપરી) - 15.79 કિમિ. ગંગાજળિયા તળાવથી અધેવાડા ( ગંગાજળિયા તળાવ, હલુરીયા ચોક, મહિલા કોલેજ સર્કલ, શિવાજી સર્કલ, રીંગરોડ, અધેવાડા ગામ) - 8.14 કિમિ. ગંગાજળિયા તળાવથી માલણકા ( ગંગાજળિયા તળાવ, જશોનાથ સર્કલ, ઘોઘા સર્કલ, ભરત નગર ચોકડી, તરસમિયા, માલણકા ગામ) - 8.67 કિમિ. ગંગાજળિયા તળાવથી અકવાડા (ગંગાજળિયા તળાવ, જશોનાથ સર્કલ, રિલાયન્સ માર્ટ, રેલ્વે સ્ટેડિયમ, શિવાજી સર્કલ, અકવાડાગામ) - 8.13 કિમિ. ગંગાજળિયા તળાવથી ફુલસર (ગંગાજળિયા તળાવ, એસ.ટી સ્ટેન્ડ, વિશ્વકર્મા સર્કલ, આર.ટી.ઓ. સર્કલ, રામદેવનગર, ફુલસર) - 8.70 કિમિ. ગંગાજળિયા તળાવથી ઓઝ સ્કૂલ (ગંગાજળિયા તળાવ, જશોનાથ સર્કલ, શામળદાસ કોલેજ, સરદાર પટેલ ઇન્સ્ટટ્યૂટ, ઓ.એ.જે કોલેજ) - 10.87 કિમિ. ભંડારીયાથી રેલ્વે સ્ટેશન ( ભંડારીયા, અધેવાડા, ટોપથ્રિ સર્કલ, ભરતનગર ચોકડી, જશોનાથ સર્કલ, રેલ્વે ટર્મિનસ) - 25.10 કિમિ. ગંગાજળિયા તળાવથી કમળેજ (ગંગાજળિયા તળાવ, એસ.ટી.સ્ટેન્ડ, વિશ્વકર્મા સર્કલ, નારી ચોકડી, કમળેજ ગામ) - 14.57 કિમિ. સિહોરથી ગંગાજળિયા તળાવ (સિહોર, રંગોળી ચોકડી, નાની ખોડિયાર, નારી ચોકડી, આર.ટી.ઓ. સર્કલ, એસ.ટી.સ્ટેન્ડ, ગંગાજળિયા તળાવ) - 20.70 કિમિ. દેવગાણાથી એસ.ટી.સ્ટેન્ડ ( દેવગાણા, વાળુંકડ હાઈસ્કૂલ, સીદસર, ઇસ્કોન કલબ, એસ.ટી સ્ટેન્ડ, ગંગાજળિયા તળાવ) - 28.34 કિમિ. રેલ્વે સ્ટેશનથી ઘોઘા/મલેકવદર (રેલ્વે સ્ટેશન, ઘોઘા સર્કલ, શિવાજી સર્કલ, સહજાનંદ સ્કૂલ બાયપાસ, ઘોઘા, મલેકવદર) - 19.93 કિમિ. કાળાતળાવથી એસ.ટી.સ્ટેન્ડ (કાળાતળાવ, કામધેનુ ગૌશાળા, ભાવનગર ટર્મિનસ, આર.ટી.ઓ સર્કલ, ભાવનગર પરા) - 12.80 કિમિ. ગંગાજળિયા તળાવથી નેસડા ( ગંગાજળિયા તળાવ, આર.ટી.ઓ સર્કલ, નારી ચોકડી, કરદેજ ગામ, નેસડા ગામ) - 18.92 કિમિ. ગંગાજળિયા તળાવથી સોડવદરા ( ગંગાજળિયા તળાવ, આર.ટી.ઓ સર્કલ, નારી ચોકડી, વરતેજ સીદસર ચોકડી, સોડવદરા) - 14.77 કિમિ. આનંદનગરથી સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજ ( આનંદનગર, મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, સંસ્કાર મંડળ, હિલપાર્ક ચોકડી, સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજ) - 9.21 કિમિ. આ તમામ ઈ-બસ જે તે રૂટ અને ગંતવ્ય સ્થાન સુધી જઈ એજ રૂટ પરથી ગંગાજળિયા પરત ફરશે.
સોમનાથ રોડ પરની સિદ્ધાર્થ સોસાયટીમાં ચોરી:તસ્કરોએ બંધ ઘરના તાળાં તોડી 67 હજારની મતા ચોરી
મહેસાણા શહેરમાં સોમનાથ રોડ પર આવેલ સિદ્ધાર્થ સોસાયટીમાં આવેલા એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો આશરે 67,300 રૂપિયાની મતા ચોરી કરી પલાયન થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. મૂળ મહેસાણાના અને હાલ સુરેન્દ્રનગર ખાતે સ્થાયી થયેલા પરિવારોના બંધ મકાનમાં આ ચોરીની ઘટના બની છે, જે અંગે મહેસાણા 'એ' ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભત્રીજાએ મકાનની લાઈટો ચાલુ જોતા શંકા ગઈફરિયાદી અરુણાબેન ગિરીશભાઈ પરમાર સુરેન્દ્રનગર ખાતે રહે છે અને તેમનું મહેસાણા સ્થિત મકાન મોટાભાગે બંધ રહે છે. ગત 10 ફેબ્રુઆરીની રાત્રિથી 11 ફેબ્રુઆરીની રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઇસમોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ગત 11 ફેબ્રુઆરીની રાત્રે ફરિયાદીના ભત્રીજાએ મકાનની લાઈટો ચાલુ જોતા શંકા ગઈ હતી. તપાસ કરતા ઘરનો સામાન વેરવિખેર હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે ફરિયાદ દાખલ કરીતસ્કરોએ ઘરમાં રાખેલી તાંબાની ગોળી,પિતળનું બેડું, તાંબાનું બેડું તેમજ સ્ટોર રૂમમાં રાખેલા ચાંદીના 20 સિક્કા આશરે 56,000 રૂપિયાની કિંમતના અને ચાંદીની લગડી સહિત કુલ 67,300 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હતી. આ મામલે અરુણાબેને મહેસાણા 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના હૃદય સમાન રેસકોર્સ ગાર્ડન ખાતે રૂ. 10,000,000 (રૂ. 1 કરોડ) ના ખર્ચે શહેરનું સૌ પ્રથમ 'ગ્લો ગાર્ડન' બનાવવાની મહત્વકાંક્ષી જાહેરાત કરવામાં આવી છે. આગામી નાણાંકિય વર્ષ 2026-27 ના બજેટમાં આ પ્રોજેક્ટને સ્થાન આપીને હાલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોના મનોરંજનમાં એક નવું નજરાણું ઉમેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ગ્લો ગાર્ડન માત્ર એક બગીચો જ નહીં, પરંતુ રાત્રિના સમયે પ્રકાશ અને કલાના સમન્વયથી ઉભું કરવામાં આવેલું એક અદભૂત વિશ્વ હશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકોટના નાગરિકો અને ખાસ કરીને બાળકોને આંતરરાષ્ટ્રીય કક્ષાનું મનોરંજન પૂરું પાડવાનો છે. પ્રદ્યુમન પાર્ક, રામવન અને અટલ સરોવર જેવા સફળ પ્રવાસન સ્થળોની યાદીમાં હવે આ ગ્લો ગાર્ડનનો પણ સમાવેશ થશે, જે શહેરના પર્યટન મૂલ્યમાં વધારો કરશે. આ ગ્લો ગાર્ડનની વિશેષતાઓ વિશે વાત કરીએ તો, અહીં અદ્યતન ટેકનોલોજી અને આધુનિક લાઇટિંગ ઇફેક્ટ્સનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. બગીચામાં વિવિધ પશુ-પક્ષીઓના વિશાળ કદના મોડેલ્સ તૈયાર કરવામાં આવશે, જે રાત્રિના અંધકારમાં ઝળહળી ઉઠશે. આ મોડેલ્સમાં વપરાતી લાઈટિંગ એવી રીતે ગોઠવવામાં આવશે કે તે કુદરતી આભા પેદા કરે. બાળકો માટે આ એક સ્વપ્ન જેવી દુનિયા હશે, જ્યાં બગીચાના વૃક્ષો અને છોડવાઓને પણ એલ.ઈ.ડી. અને ફાઈબર ઓપ્ટિક્સ જેવી ટેકનોલોજીથી શણગારવામાં આવશે, જેથી આખું પરિસર રાત્રે દૂધિયા અને રંગીન પ્રકાશથી ઝળહળતું રહેશે. આ ગાર્ડનનું નિર્માણ કાર્ય મે-2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ તૈયાર થયા બાદ રેસકોર્સ વિસ્તારની રોનક બદલાઈ જશે. સાંજ પછી જ્યારે શહેરની લાઈટો શરૂ થાય, ત્યારે ગાર્ડન પોતાની ખાસ લાઇટિંગ ઇફેક્ટ્સથી લોકોનું ધ્યાન આકર્ષિત કરશે. મનપા દ્વારા આ ગાર્ડનમાં સેલ્ફી પોઈન્ટ્સ, આકર્ષક વોક-વે અને બેઠક વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવશે, જેથી મુલાકાતીઓ આરામથી આ અદભૂત નજારાનો આનંદ માણી શકે. આ પ્રોજેક્ટ માટે રૂ. 10,000,000 ની રકમ ફાળવીને વહીવટી પ્રક્રિયાઓ પણ ઝડપી કરવામાં આવી છે. રેસકોર્સ ગ્લો ગાર્ડન માત્ર મનોરંજન જ નહીં, પરંતુ રાજકોટના આધુનિકીકરણ અને 'સ્માર્ટ સિટી' ના અભિગમને પણ વેગ આપશે. ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા દ્વારા પ્રદ્યુમન પાર્ક પાસે આકાર લઈ રહેલા લાયન સફારી પાર્કમાં પણ એન્ટ્રન્સ પ્લાઝામાં લોન એરિયા, વેસ્ટ ટુ વન્ડર, કેક્ટસ થીમ ગાર્ડન, બફર ટ્રી પ્લાન્ટેશન, ફ્લાવર બેડ, બાંબૂ ગ્રાસ થીમ ગાર્ડન, ફાઈકસ અને બોગનવેલ થીમ ગાર્ડન સહિત બટરફલાય લેન્ડસ્કેપ ડિઝાઈન જેવા વિવિધ આકર્ષણો વિકસાવવામાં આવશે. તેમજ બોટનીકલ ગાર્ડન, નવા બગીચાઓ, અને વિવિધ સ્થળોએ બાલ ક્રિડાંગણ તથા ફિઝીકલ ફિટનેસના સાધનો મૂકવાનું આયોજન છે.
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં ગતમોડી રાતે ઘાતક હુમલાની ઘટના સામે આવી છે. શહેરના નારીરોડ રામદેવનગર ખાતે રહેતા યુવક પર સામાન્ય બોલાચાલીમાં ત્રણ શખસે તલવાર, ધારિયું અને છરી વડે હુમલી કરી લોહીલુહાણ કર્યો હતો. યુવકને માથા અને મોઢાના બાગે ગંભીર ઈજા થતાં સારવાર અર્થે સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મારામારીની ઘટના સમયનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બેથી ત્રણ શખસના હાથમાં હથિયારો જોવા મળી રહ્યાં છે. એક યુવકના હાથમાં તલવાર અને દારૂની બોટલ પણ જોવા મળી હતી. હાલમાં પોલીસે ત્રણ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદને મામાના દીકરાએ ઘટનાની જાણ કરીબોરતળાવ પોલીસ મથકથી મળતી માહિતી મુજબ, કુંભારવાડા નારીરોડ પર આવેલા રામદેવનગર વિસ્તારમાં રહેતા કાળુભાઈ રમેશભાઈ ચૌહાણે ફરિયાદ નોંધાવી છે, જેમાં 12 ફેબ્રુઆરની રાત્રે તેઓ પોતાના ઘરે હાજર હતાં. આ સમયે તેમના મામાના દીકરાએ દોડી આવી તેમના સાળા સંજય ઉર્ફે સાંગા પર વસરામભાઈની દુકાન પાસે રાહુલ ઉર્ફે ઢેલ, તેનો ભાઈ સંદીપ ઉર્ફે સુનો અને એક અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. ફરિયાદી સ્થળે જતા નાનો સાળો ગંભીર હાલતમાં પડ્યો હતોવાકત સાંભણીને તાત્કાલિક કાળુભાઈ બનાવ સ્થળે પહોંચ્યા હતા, જ્યાં લોકોની ભીડ એકત્રિત થઈ હતી અને સંજય ઉર્ફે સાંગા લોહીલુહાણ હાલતમાં નીચે પડેલો જોવા મળ્યો હતો. તેમના માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ જણાતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તેને તાત્કાલિક સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મોટાભાઈની બબાલમાં જતાં આરોપીએ લોહીલુહાણ કર્યોપ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મોટો સાળો કાંતી વસરામભાઈની દુકાન પાસેથી પસાર થતી વખતે આરોપીઓની બોલાચાલી થઈ હતી અને એક થપ્પડ મારવામાં આવી હતી. આ બાબતે વાત કરવા નાના સાળા સંજય ઉર્ફે સાંગા ત્યાં પહોંચતા જ રાહુલ ઉર્ફે ઢેલે તલવાર વડે, સંદીપ ઉર્ફે સુનોએ ધારિયા વડે અને અજાણ્યા વ્યક્તિએ છરી વડે માથા અને મોઢાના ભાગે આડેધડ ઘા મારી ઈજાઓ પહોંચાડી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરીહાલમાં આ મામલે ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે રાહુલ ઉર્ફે ઢેલ, સંદીપ ઉર્ફે સુનો અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ BNS કલમ 109(1), 115(2), 54 તથા જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરમાંથી એક ચોંકાવનારો વીજ બીલનો મામલો સામે આવ્યો છે. શહેરના સુભમપુરા વિસ્તારમાં એક દુકાનદારને નવું મીટર લગાવ્યા બાદ 78 હજારથી વધુનું બિલ આવતા ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા અને તુરંત જ તેઓએ વીજ કંપનીમાં રજૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આટલું મોટું બિલ જોઈને મને આઘાત લાગ્યો હતો. અને હું ચિંતામાં મુકાઈ ગયો હતો. વડોદરા શહેરમાં વીજ ગ્રાહકો માટે ચેતવણી સમાન એક ઘટના સામે આવી છે. સુભાનપુરા વિસ્તારમાં આવેલ એક દુકાનમાં જૂનું વીજ મીટર બગડી જતા વીજ કંપની દ્વારા નવું મીટર લગાવવામાં આવ્યું હતું. પરંતુ મીટર બદલાયા બાદ જ્યારે બિલ આવ્યું ત્યારે દુકાનદારના હોશ ઉડી ગયા. બિલની રકમ 78,605.44 રૂપિયા હતી. આટલું મોટું બિલ આવતા દુકાનદારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ દુકાનદારે તરત જ વીજ કંપનીનો સંપર્ક કર્યો હતો. દુકાનદારે આ મામલે મધ્ય ગુજરાત વીજ કંપની કચેરીમાં રજૂઆત કરતા ત્યાંના અધિકારીઓ પણ બિલની રકમ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હાલ આ મામલે ટેકનિકલ ચકાસણી અને બિલની તપાસ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ફરિયાદી અજયભાઈ વાળાએ જણાવ્યું હતું કે, હું વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં પંચરત્ન બિલ્ડિંગમાં છેલ્લા 10 વર્ષથી દુકાન ચલાવું છું. આજે સવારે મેં મારું વીજળી બિલ ગુગલ પે પર ચેક કર્યું હતું. તેમાં 78,000 રૂપિયાથી વધુની રકમ દેખાઈ હતી. જે જોઈને મને આઘાત લાગ્યો હતો. અને હું ચિંતામાં મુકાઈ ગયો હતો. સામાન્ય રીતે મારું બે મહિનાનું બિલ 1,200થી 1,500 રૂપિયાની આસપાસ હોય છે. આટલી મોટી રકમ જોઈને હું ખૂબ ચિંતિત થઈ ગયો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હું તાત્કાલિક અલકાપુરીમાં GEBની ઓફિસે ગયો અને ત્યાં પટેલ સાહેબની મુલાકાત લીધી હતી. તેમણે મને ખૂબ સારો સહકાર આપ્યો હતો અને સ્વીકાર્યું હતું કે, આ બિલમાં કોઈ ભૂલ છે. કદાચ મીટર રીડિંગ લખવામાં કર્મચારીની કોઈ ભૂલ થઈ હશે. તેઓએ કહ્યું હતું કે, મારી વિનંતી છે કે, જ્યારે પણ કર્મચારીઓ મીટર રીડિંગ લેવા આવે, ત્યારે તેઓએ ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. મોંઘવારીના આ સમયમાં આટલી મોટી રકમના બિલ જોઈને સામાન્ય માણસ ખૂબ તણાવમાં આવી જાય છે. હું લોકોને કહેવા માંગું છું કે જો આવું કોઈ બિલ આવે, તો ગભરાવાની જરૂર નથી. GEB ની ઓફિસે જઈને ત્યાંના અધિકારીઓ સાથે વાત કરવી જોઈએ. તેઓનો રિસ્પોન્સ સારો હોય છે.
ગોધરા-પરવડી બાયપાસ પર અકસ્માત:ઈકો અને બાઇક અથડાતા માંડલીનો યુવાન ગંભીર રીતે ઘાયલ
ગોધરાના પરવડી બાયપાસ ચોકડી પર એક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં ઈકો ગાડી અને મોટરસાઇકલ વચ્ચે ટક્કર થતાં બાઇક સવાર યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. મળતી માહિતી અનુસાર, માંડલી ગામના રહેવાસી રાકેશભાઈ ખાટ પોતાના બાઇક પર ગોધરા ખાતે નોકરી પર જઈ રહ્યા હતા. તેઓ પરવડી બાયપાસ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ઝડપથી આવતી ઈકો ગાડી સાથે તેમનો અકસ્માત થયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે રાકેશભાઈને આંખ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી ઈજાગ્રસ્ત રાકેશભાઈને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.
પાટણમાં ગટર લાઈન ચોકઅપ:સફાઈમાં મેડિકલ વેસ્ટ મળ્યો, જૂના બસ સ્ટેન્ડ પાસે કપડાંનો જથ્થો પણ નીકળ્યો
પાટણ શહેરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઈન ચોકઅપ થવાની સમસ્યા સામે આવી હતી. પાલિકા દ્વારા હાથ ધરાયેલી સફાઈ કામગીરી દરમિયાન લાઈનમાંથી મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ અને જૂના કપડાંનો જથ્થો મળી આવ્યો હતો. આ ચોંકાવનારી ઘટના બાદ પાલિકા તંત્રએ નાગરિકોને ગટરમાં કચરો ન ફેંકવા અપીલ કરી છે. વ્યસ્ત ગણાતા જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી પસાર થતી આ મુખ્ય ભૂગર્ભ ગટર લાઈન છેલ્લા કેટલાક સમયથી જામ થઈ ગઈ હતી. ગટર લાઈન ચોકઅપ થવાને કારણે ગંદા પાણીના નિકાલમાં અવરોધ ઊભો થયો હતો, જેનાથી સ્થાનિક રહીશો અને વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પાટણ નગરપાલિકાના ગટર વિભાગને જાણ થતાં જ તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સફાઈ કામગીરી શરૂ કરી હતી. પાલિકાના સફાઈ કામદારો અને ટેકનિકલ ટીમે જ્યારે ગટર લાઈન ખોલીને તપાસ કરી, ત્યારે અંદરથી મોટા પ્રમાણમાં વપરાયેલો મેડિકલ વેસ્ટ અને જૂના કપડાંનો જથ્થો મળી આવતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. સામાન્ય રીતે ઘરેલું વપરાશના પાણી માટે બનેલી આ લાઈનમાં પ્રતિબંધિત મેડિકલ વેસ્ટ અને કાપડ ફેંકવામાં આવતા લાઈન સંપૂર્ણપણે પૂરાઈ ગઈ હતી. પાલિકા તંત્ર દ્વારા કલાકોની જહેમત બાદ તમામ કચરો બહાર કાઢીને ગટર લાઈનને સંપૂર્ણપણે સાફ કરવામાં આવી હતી. હાલમાં ગટર લાઈન પૂર્વવત બની છે અને પાણીનો નિકાલ શરૂ થયો છે. આ ઘટનાને પગલે પાલિકા તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. પાલિકાએ શહેરના વેપારીઓ અને નાગરિકોને ભૂગર્ભ ગટર લાઈનમાં મેડિકલ વેસ્ટ, પ્લાસ્ટિક કે જૂના કપડાં જેવો કચરો ન નાખવા અપીલ કરી છે. આવા કચરાને કારણે લાઈન વારંવાર જામ થાય છે અને જાહેર આરોગ્ય સામે પણ ગંભીર ખતરો ઊભો થાય છે.
વલસાડના ધોબીતળાવ વિસ્તારમાં જમીનની હદ બાબતે સમજાવવા ગયેલા કાકા-ભત્રીજા પર લોખંડના સળિયાથી હુમલો થયો હતો. આ ઘટનામાં એક યુવકને ગંભીર ઈજા થતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી હિતેશભાઈ સુનિલભાઈ ગાયકવાડના જણાવ્યા મુજબ, તેમના કાકા ભરતભાઈ મોતીરામ ગાયકવાડ રાત્રે 9:30 કલાકે ધોબીતળાવ પાસે રહેતા શ્યામ દેવા ગુજ્જર અને અન્ય શખ્સો પાસે ડુક્કર પકડવાની જમીનની હદ બાબતે વાતચીત કરવા ગયા હતા. ત્યાં આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ભરતભાઈને ઢીંકમુક્કીનો માર મારવાનું શરૂ કર્યું હતું. કાકાને બચાવવા માટે હિતેશ અને તેનો ભાઈ વિરજ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન, ચારેય આરોપીઓએ ભેગા મળી હિતેશ અને વિરજ પર પણ હુમલો કર્યો હતો. શેખર દેવા ગુજ્જરે હિતેશના માથાના પાછળના ભાગે લોખંડનો સળિયો મારતા તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. આસપાસના લોકો એકઠા થતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત હિતેશ ગાયકવાડને સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વલસાડ સિટી પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે શ્યામ દેવા ગુજ્જર, શેખર દેવા ગુજ્જર, દેવા કાલુ ગુજ્જર અને સુરેશ અશોક ગુજ્જર સામે BNS ની કલમ 115(2), 118(1), અને 54 મુજબ ગુનો નોંધી તપાસ ચાલુ રાખી છે. પોલીસે હોસ્પિટલ જઈ હિતેશનું નિવેદન પણ લીધું છે.
પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામ નજીકથી ખોટી નંબર પ્લેટવાળા ટેન્કરમાંથી પકડાયેલા વિદેશી દારૂના કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. સમીની જ્યુડિશિયલ કોર્ટના મેજિસ્ટ્રેટ વી.એમ. વણકરે ટેન્કર માલિક લક્ષ્મણ રામ ભીમારામ મુલારામ ઇસરામ જાટને ત્રણ વર્ષની સાદી કેદ અને રૂ. 6000નો દંડ ફટકાર્યો છે. આ ઘટના 28 જુલાઈ, 2018ના રોજ સમી-રાધનપુર હાઈવે પર બાસ્પા ગામના બસ સ્ટેન્ડ પાસેથી નાકાબંધી દરમિયાન બની હતી. પોલીસે રૂ. 6,24,000નો વિદેશી દારૂ અને રૂ. 5 લાખનું ટેન્કર મળી કુલ રૂ. 11,24,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી લક્ષ્મણ રામ જાટ (ઉં.વ. 30), જે રાજસ્થાનના બાડમેર જિલ્લાના અનદાનીયોન કા તલાનો રહેવાસી છે, તેને તે દિવસે રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. કોર્ટે તેને IPC કલમ 465 (બનાવટી દસ્તાવેજ બનાવવો) અને 468 (છેતરપિંડીના હેતુથી બનાવટી દસ્તાવેજ બનાવવો) હેઠળ દોષિત ઠેરવ્યો હતો. કલમ 465 હેઠળ, આરોપીને એક વર્ષની સાદી કેદ અને રૂ. 1000નો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદ ભોગવવી પડશે. જ્યારે કલમ 468 હેઠળ, ત્રણ વર્ષની સાદી કેદ અને રૂ. 5000નો દંડ કરવામાં આવ્યો છે, જેમાં દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની જોગવાઈ છે. કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ એમ.જે. કોરાટે રજૂઆત કરી હતી. કોર્ટે પોતાના 40 પાનાના ચુકાદામાં જણાવ્યું હતું કે, સમાજમાં આવા ગુનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સામાજિક સુરક્ષાની સ્થિતિ ધ્યાનમાં લેવી જરૂરી છે. આરોપીએ પોતાની માલિકીના ટેન્કરમાં ખોટી નંબર પ્લેટ લગાવી ગુનો આચર્યો હોવાનું ફરિયાદ પક્ષે પુરવાર કર્યું હતું. સરકારી વકીલે દલીલ કરી હતી કે, IPC 465માં બે વર્ષ અને 468માં સાત વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે. આવા ગુનાઓ વારંવાર બનતા હોવાથી સમાજમાં દાખલો બેસે તે હેતુથી કાયદામાં દર્શાવેલી મહત્તમ સજા કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, આ આરોપી લક્ષ્મણરામ સામે અગાઉ નોંધાયેલા અન્ય એક ગુનામાંથી તેને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યો હતો.
હિંમતનગરના મહેતાપુરામાં આવેલી ત્રિવેણી વિદ્યાલયમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે અનોખા સ્વ-શાસન દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 350 થી વધુ વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષણ કાર્યનું સંચાલન કર્યું હતું, જે બાદ તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. આ સ્વ-શાસન દિન દરમિયાન, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ ધોરણ 1 થી 9 અને 11ના વિદ્યાર્થીઓને વિવિધ વિષયોના શિક્ષકો તરીકે ભણાવ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ આચાર્યની ભૂમિકા પણ નિભાવીને શાળાના સંચાલનનો અનુભવ મેળવ્યો હતો. બોર્ડની પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે, ત્યારે વિદ્યાર્થીઓને વિદાય આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર શિક્ષણ કાર્ય કરીને આ દિવસનો આનંદ માણ્યો હતો. શિક્ષણ કાર્ય પૂર્ણ થયા બાદ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. શાળાના આચાર્ય શંભુભાઈ ભટ્ટ અને સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવા અને જીવનમાં પ્રગતિ કરવા માટે શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા.
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદ માટે હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. સુરત પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદી આજે(13 ફેબ્રુઆરી) બપોરે 12 વાગ્યે ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરશે. વિધાનસભા પરિસરમાં રાજકીય ચહલપહલ વચ્ચે તેમના સમર્થકો સાથે તેઓ પહોંચ્યા છે. પૂર્ણેશ મોદીનું બિનહરીફ ચૂંટાવું લગભગ નિશ્ચિતમાહિતી મુજબ, પૂર્ણેશ મોદીનું બિનહરીફ ચૂંટાવું લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. સત્તારૂઢ પક્ષ તરફથી તેમના નામ પર સહમતિ બનતા અન્ય કોઈ ઉમેદવારી દાખલ થવાની શક્યતા ઓછી છે. ફોર્મ ભરતી વખતે મુખ્યમંત્રી હાજર રહે તેવી શક્યતાફોર્મ ભરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઋષિકેશ પટેલ તેમજ કામકાજ સલાહકાર સમિતિના સભ્યો હાજર રહેશે તેવી માહિતી મળી રહી છે. આ પ્રસંગે વિધાનસભા પરિસરમાં ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે. પાર્ટી સંગઠન અને સરકારમાં લાંબા સમયથી સક્રિય ભૂમિકા ભજવે છેઉલ્લેખનીય છે કે અગાઉ ઉપાધ્યક્ષ પદ ખાલી થતા નવા ચહેરા તરીકે પૂર્ણેશ મોદીના નામની ચર્ચા ચાલી રહી હતી. પાર્ટી સંગઠન અને સરકારમાં લાંબા સમયથી સક્રિય ભૂમિકા ભજવનાર પૂર્ણેશ મોદી હવે વિધાનસભાના ગૌરવપૂર્ણ પદ પર બેસવા જઈ રહ્યા છે. ઉપાધ્યક્ષ અધ્યક્ષની ગેરહાજરીમાં ગૃહની કાર્યવાહી સંભાળે છેજો તેઓ બિનહરીફ ચૂંટાઈ આવશે તો આવનારા સત્રોમાં ગૃહના કારોબાર સંચાલનમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. વિધાનસભાના નિયમો અનુસાર ઉપાધ્યક્ષ ગૃહના સંચાલનમાં અધ્યક્ષને સહયોગ આપે છે અને અધ્યક્ષની ગેરહાજરીમાં ગૃહની કાર્યવાહી સંભાળે છે. સત્તાવાર જાહેરાત બાદ ગુજરાત વિધાનસભાને નવા ઉપાધ્યક્ષ મળશેગાંધીનગરના રાજકીય વર્તુળોમાં આજે આખો દિવસ આ ઘટનાને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. હવે સત્તાવાર જાહેરાત બાદ ગુજરાત વિધાનસભાને નવા ઉપાધ્યક્ષ મળશે.
સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ખોટી માહિતી અને અફવા ફેલાવતા તત્વો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. શહેરના સરથાણા વિસ્તારમાં બનેલી એક સામાન્ય ઘટનાને ગંભીર સ્વરૂપ આપી, સોશિયલ મીડિયા પર ખોટી રીલ વાઇરલ કરનાર શખ્સની સરથાણા પોલીસે અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું છે. વધુ વ્યૂઝ-લાઈક્સ મેળવવા યુવકે ઝઘડામાં એકનું મોત અને બે ઈજાગ્રસ્ત કહ્યાગઈકાલે(12 ફેબ્રુઆરી) સવારે આશરે 8 વાગ્યાની આસપાસ સરથાણા બાપા સીતારામ રોડ પર આવેલા સિલ્વર બિઝનેસ હબ પાસે કેટલાક મજૂરો વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવકે આ ઝઘડાનો વીડિયો ઉતારી લીધો હતો. વધુ વ્યૂઝ અને લાઈક્સ મેળવવાની લાલચમાં આ યુવકે વીડિયોમાં એવો ખોટો દાવો કર્યો હતો કે, આ ઝઘડામાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ તપાસમાં દાવો ખોટો નીકળ્યોઆ ખોટી માહિતી ધરાવતી રીલ સોશિયલ મીડિયા પર વાઇરલ થતા જ લોકોમાં ભય અને ઉત્તેજનાનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા સરથાણા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે વીડિયોમાં કરવામાં આવેલા મોતના દાવા તદ્દન પાયાવિહોણા અને ખોટા છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી વીડિયો બનાવનાર શખ્સને ઝડપી પાડ્યો હતો. યુવકે પોલીસ સ્ટેશનમાં માફી માંગીપોલીસની પકડમાં આવ્યા બાદ અફવા ફેલાવનાર યુવકની શાન ઠેકાણે આવી હતી. તેણે પોલીસ સ્ટેશનમાં પોતાની ભૂલ સ્વીકારી જાહેર જનતાની માફી માંગી હતી. તેણે કબૂલાત કરતા જણાવ્યું હતું કે મેં સિલ્વર બિઝનેસ હબ પાસે મજૂરો વચ્ચે થતા ઝઘડાનો ખોટો વીડિયો બનાવી વાઇરલ કર્યો હતો. મેં કરેલો મોત અને ઈજાનો દાવો ખોટો છે. મિત્રો, તમે આવા ખોટા વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરશો નહીં. યાદ રાખજો, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ઘટનાની ખરાઈ કર્યા વગર તેના વીડિયો કે માહિતી વાઇરલ કરવી એ ગુનોસુરત પોલીસે આ કિસ્સા દ્વારા નાગરિકોને સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરવો. કોઈપણ ઘટનાની ખરાઈ કર્યા વગર તેના વીડિયો કે માહિતી વાઇરલ કરવી એ ગુનો છે અને તેનાથી શાંતિ જોખમાઈ શકે છે. અફવા ફેલાવનારાઓ સામે પોલીસ આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખશે.
હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરે આ વર્ષે પણ મહાશિવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે મહા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મંદિરમાં 800 કિલો શક્કરિયા અને ફ્રૂટનો પ્રસાદ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત, મંદિર પરિસરમાં ભવ્ય મેળો પણ ભરાશે, જેમાં ખાણી-પીણી અને રમતગમતના 30 થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવશે. મંદિરમાં મહા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન થશે. મહાશિવરાત્રીના મેળા અને સ્વયંભૂ ભોલેશ્વર દાદાના દર્શન માટે આવનારા ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. સ્ટોલની તૈયારીઓ અને મંદિરમાં તોરણ સહિતની સજાવટનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે.
પાડોશી જ ચોર નીકળ્યો:હળવદના ટીકર ગામે 3.94 લાખના સોનાની ચોરીમાં આરોપી ઝડપાયો
હળવદના ટીકર ગામે એક યુવાનના ઘરમાંથી રૂ. 3.94 લાખના સોનાના દાગીનાની ચોરી થઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી પાડોશી આરોપીની ધરપકડ કરી ચોરાયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. ટીકર ગામના સુરેશભાઈ કાનજીભાઈ મકવાણા (ઉં.વ. 24)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાત્રિના સમયે તેમના બંધ ઘરને નિશાન બનાવીને સોનાના બે હાર, બે કાનની બુટ્ટી, એક શેર અને બે વીંટી સહિત કુલ સાડા પાંચ તોલા સોનાના દાગીનાની ચોરી થઈ હતી. આ દાગીનાની કુલ કિંમત રૂ. 3,94,057 આંકવામાં આવી છે. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ ટીકર ગામના વિશાલ રમેશભાઈ ખાંભડિયા (ઉં.વ. 21) નામના આરોપીને ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે ચોરી થયેલો સોનાનો 100 ટકા મુદ્દામાલ આરોપી પાસેથી રિકવર કર્યો છે. હળવદના પીઆઈ ડી.વી. કાનાણી પાસેથી મળતી માહિતી મુજબ, પકડાયેલો આરોપી ફરિયાદીનો પાડોશી છે. તેને જાણ હતી કે ઘર બંધ છે અને ઘરમાં કિંમતી સામાન છે. મીઠાની સિઝન હોવાથી ફરિયાદી અને તેમનો પરિવાર રણમાં ગયો હતો, ત્યારે આરોપીએ તકનો લાભ ઉઠાવી ઘરના તાળાં તોડીને સોનાના દાગીનાની ચોરી કરી હતી. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન દારૂ પીને ગાડી ચલાવીને અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ગઇકાલે(12 ફેબ્રુઆરી) શહેરના નરોડા વિસ્તારમાં કાપડી વાસ પાસે દારૂ પીધેલા કાર ચાલકે બેફામપણે કાર ચલાવી સામેથી એક્ટિવા પર બાળકી સાથે આવતા દંપતીને ટક્કર મારી હતી. જેથી ત્રણેય લોકો નીચે પડી ગયા હતા. ચાર વર્ષની બાળકીને મોઢાના અને અન્ય ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી જ્યારે પતિ-પત્નીને પણ ઇજાઓ થતા ત્રણેયને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસને જાણ કરવામાં આવતા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ટ્રાફિક પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગાડીએ ટક્કર મારતા પતિ-પત્ની બાળક નીચે પટકાયાશહેરના નવા નરોડા વિસ્તારમાં આવેલી અંજની રેસીડન્સીમાં રિતેશ ખટનાની તેમના પરિવાર સાથે રહે છે. રિતેશભાઈ તેમના પત્ની અને ચાર વર્ષની બાળકીને લઈને એક્ટિવા પર તેમના સાળીના ઘરે ગઇકાલે રાત્રે મળવા માટે ગયા હતા. સવા નવ વાગ્યાની આજુબાજુ તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે નરોડા કાપડીવાસ પાસે પહોંચતા સામેના ભાગેથી બેફામ સ્પીડે એક કારચાલક આવ્યો હતો. કાર ચાલકે સામેથી આવતા એક્ટિવાને ટક્કર મારી હતી જેના કારણે રિતેશભાઈ તેમના પત્ની અને નાની બાળકી ત્રણેય નીચે પડી ગયા હતા અને તેઓને ગંભીર ઇજા થઈ હતી. કાર ચાલક ભાગી જતા સ્થાનિકોએ પીછો કરી પકડ્યોઅકસ્માત થતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને રીતેશભાઈએ તેમના મિત્રોને જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા હતા. ગાડી ચાલક પોતાની ગાડી મૂકી ત્યાંથી ભાગી ગયો હતો. જોકે સ્થાનિક લોકોએ તેનો પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો. ગાડીમાંથી દારૂની બોટલ મળી108 એમ્બ્યુલન્સ મારફતે ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગાડીમાં તપાસ કરતા દારૂની બોટલ પણ મળી આવી હતી. પોલીસને જાણ કરવામાં આવતા જી ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે કારચાલક રાઘવેંદ્ર તેજભાન સીંગ (ઉ.વ 31, રહે. દેવમાણીક ફ્લેટ, શ્રીનાથ પાર્ટી પ્લોટ પાસે, નવા નરોડા, મુળ વતન ગામ-કુસમી તા-ઉચાઆહાર થાના-જગતપુર જી-અયોધ્યા ઉત્તરપ્રદેશ) ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના રૂઢનાથપુરા વિસ્તારમાં જ્વેલર્સના દાગીના બનાવવાના કારખાનામાં ગેસની નાની બોટલ (ટીન) જોરદાર ધડકા સાથે બ્લાસ્ટ થયો હતો. જેથી ત્યાંના લોકોમાં ગભરાટ ફેલાતા નાસભાગ અને અફરાતફરી મચી જવા પામી હતી. જોકે કામદાર બહાર નીકળી જતા બચી ગયો હતો. બ્લાસ્ટના કારણે બારી-બારણાના કાચ તૂટી ગયા હતા. આ સાથે મશીન, ટેબલ, ખુરસી, વાયરીંગ સહિતના સામાનને નુકસાન થયું હતું. ગેસની નાની બોટલ એકાએક ફાટીમળતી માહિતી પ્રમાણે, રૂઢનાથપુરામાં ચોથ્યા શેરીમાં મકાનમાં જ્વેલર્સના દાગીનાના બનાવવાનું કારખાનું આવેલુ છે. કારખાનમાં એક કામદાર કામ કરવામાં વ્યસ્ત હતો. દરમિયાન દાગીના બનાવવા માટે ઉપગોય કરવામાં આવેતી બ્લુકેમ પ્રોટેબલ ગેસ કારટેજ એટલે કે ગેસની નાની બોટલ (ટીન) એકાએક જોરદાર ધડકા સાથે બ્લાસ્ટ થયો હતો. જોકે સદનશીબે ત્યાં હાજર એક વ્યકિત બચી જતા તરત બહાર દોડી ગયો હતો. ફાયર અને પોલીસ સ્થળે દોડી ગઈબ્લાસ્ટના બનાવના લીધે ત્યાંના લોકોમાં ભય ફેલાતા ત્યાં ભાગદોડ અને અફડાતફડી મચી જવા પામી હતી. આ અંગે ફાયર બિગ્રેડ અને પોલીસકર્મીઓને જાણ થતા ઘટનાસ્થળે ધસી જઈને કામગીરી કરી હતી. જયારે ટીન ગેસની નાની બોટલ બ્લાસ્ટ થવાના લીધે બાંરણા-બારીના કાંચ તૂટી ગયા હતા. આ સાથે મશીન, ટેબલ, ખુરસી, વાયરીંગ સહિતનો માલ સામન અને ચીજવસ્તુઓને નુકસાન થયું હતું. આ બનાવમાં કોઇ ઇજા જાનહાનિ થઇ નહી હોવાનું ફાયર ઓફિસરે કહ્યુ હતું.
ગુજરાત સરકારે પ્રભારી મંત્રીઓની જેમ ગૃહ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 35 જેટલા ડીઆઈજી કક્ષાના અધિકારીઓની નિમણૂક કરી છે. આ પહેલ અંતર્ગત અમરેલી જિલ્લાની મહત્વપૂર્ણ જવાબદારી ડીઆઈજી રાજન સુશરાને સોંપવામાં આવી છે. તેઓ વર્ષ દરમિયાન દર મહિને બે દિવસ માટે અમરેલીની મુલાકાત લેશે અને કાર્યવાહીનો અહેવાલ ડીજીપી તથા ગૃહ વિભાગને મોકલશે. ડીઆઈજી રાજન સુશરા દર મહિનાના પ્રથમ સપ્તાહમાં પોતાનો ટૂર પ્રોગ્રામ બનાવી અમરેલી જિલ્લા પોલીસ વડાને અગાઉથી જાણ કરશે. તેઓ બીજા અને ત્રીજા સપ્તાહમાં કાર્યક્રમ પૂર્ણ કરી, ચોથા સપ્તાહમાં ગૃહ વિભાગ અને ડીજીપીને અહેવાલ સુપરત કરશે. તેમની મુલાકાતમાં અમરેલીના એસપી, ડીવાયએસપી, પોલીસ સ્ટેશનો અને અન્ય કચેરીઓનો સમાવેશ થશે. તેમને સૂચના આપવામાં આવી છે કે વર્ષ દરમિયાન જિલ્લાના મહત્તમ પોલીસ સ્ટેશનોની મુલાકાત લેવી અને એક જ પોલીસ સ્ટેશનની વારંવાર મુલાકાત ટાળવી. આ વ્યવસ્થા હેઠળ, જો અરજદારોને પોલીસમાં રજૂઆત કર્યા બાદ સીધો ન્યાય ન મળ્યો હોય, તો તેઓ સીધા ડીઆઈજીનો સંપર્ક કરી શકશે. ડીઆઈજી મુખ્યમંત્રી કાર્યાલય, સ્વાગત કાર્યક્રમો, સાંસદો, ધારાસભ્યો, ડીજીપી અને પોલીસ અધિક્ષક કચેરીઓ તરફથી મળતી અરજીઓનું યોગ્ય અને સમયસર નિરીક્ષણ થયું છે કે કેમ તેની ચકાસણી કરશે. તેઓ દફતરે કરાયેલી અરજીઓ પૈકી 10 થી 15 અરજદારોનો રૂબરૂ સંપર્ક કરીને તેમની અરજીઓ ખરેખર દફતરે કરવા લાયક હતી કે કેમ તેની પણ ચકાસણી કરશે. પ્રભારી મંત્રીઓ જેમ સરકારને રિપોર્ટ આપે છે, તેવી જ રીતે ડીઆઈજી સીધો રિપોર્ટ રાજ્યના પોલીસ વડા (ડીજીપી) અને ગૃહ વિભાગને આપશે. આ વિઝિટ અંગેની સૂચના સંબંધિત પોલીસ વડાને લેખિતમાં આપવાની રહેશે. ડીજીપી તમામ મળેલા અહેવાલોની ચકાસણી કરીને ગૃહ વિભાગને મોકલી આપશે, જેથી સૂચનાઓનું પાલન સુનિશ્ચિત થાય.
સરદાર પટેલ યુનિવર્સિટીમાં પરંપરાગત રમતોત્સવનો પ્રારંભ:350થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા 12 ફેબ્રુઆરી, 2026થી પરંપરાગત રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના બાકરોલ સ્થિત સરદાર પટેલ મેદાન ખાતે આ સ્પર્ધાઓ શરૂ થઈ છે. વિદ્યાર્થીઓમાં શારીરિક કૌશલ્ય અને સંસ્કૃતિના જતન માટે આ આયોજન સતત ત્રીજા વર્ષે થઈ રહ્યું છે, જેમાં 350થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. આ પ્રસંગે કુલપતિ પ્રોફેસર ડો. નિરંજનભાઈ પટેલ, કુલસચિવ અને શારીરિક શિક્ષણ વિભાગના કાર્યકારી નિયામક ડો. ભાઈલાલભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કુલપતિ પ્રોફેસર ડો. નિરંજનભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓને મોબાઈલની દુનિયામાંથી મેદાન પર પાછા લાવવા અને તેમને વિસરાતી જતી રમતોથી પરિચિત કરાવવાનો આ આયોજનનો મુખ્ય હેતુ છે. આ રમતોત્સવમાં આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી વિવિધ પરંપરાગત રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગિલી ડંડા, લખોટીઓ, સતોડ્યું, ભમરડા, કોથળાદોડ, લંગડી અને લીંબુ ચમચી જેવી રમતોનો સમાવેશ થાય છે. આ સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં ખેલદિલીની ભાવના વધશે અને તેઓ માનસિક તેમજ શારીરિક રીતે મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
મોરબીનો પાડાપુલ આજથી રિપેરિંગ માટે બંધ:વૈકલ્પિક રસ્તાઓ પર વાહનચાલકોને વાળવા પોલીસ પોઈન્ટ કાર્યરત
મોરબીનો મચ્છુ નદી પરનો 142 વર્ષ જૂનો પાડાપુલ ગુરુવાર, 12 ઓક્ટોબરની મધ્યરાત્રિથી સમારકામ માટે બંધ કરવામાં આવ્યો છે. વાહનવ્યવહારને વૈકલ્પિક માર્ગો પર વાળવા માટે શહેરભરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય. આ પુલના સમારકામ માટે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા બે દિવસ અગાઉ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ગુરુવાર રાત્રિના 12 વાગ્યાથી પુલ પર વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝનની અમલવારી શરૂ કરી દેવાઈ છે. હળવા વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોરબીના બેઠાપુલ પરથી બાઇક, સ્કૂટર, રિક્ષા અને કાર જેવા વાહનો શહેરમાં પ્રવેશી શકશે. જ્યારે મયુર પુલ પરથી આ જ પ્રકારના વાહનો સામાકાંઠા તરફ જઈ શકશે. એસ.ટી. બસો માટે પણ નવા રૂટ જાહેર કરાયા છે. રાજકોટથી કચ્છ કે અમદાવાદ તરફ જતી અને આવતી બસો હવે નવા બસ સ્ટેન્ડથી ભક્તિનગર ઓવરબ્રિજ નીચેથી પસાર થઈને દલવાડી ચોકડી, પંચાસર ચોકડી, વાવડી ચોકડી અને રવિરાજ ચોકડી તરફથી અવરજવર કરશે. કચ્છ તરફથી આવતી બસો માળિયા ફાટક અને અમદાવાદથી આવતી બસો મહેન્દ્રનગર ચોકડી થઈને રવિરાજ ચોકડીથી શહેરમાં પ્રવેશ કરશે. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ પુલના સમારકામ પાછળ અંદાજે દોઢ કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને લગભગ 45 દિવસ સુધી પુલ બંધ રહેશે. પુલના કુલ 19 ગાળા (સ્પાન) પૈકી, પાડા પાસેથી નટરાજ ફાટક તરફના રસ્તામાં આવતા 9 ગાળાનું સમારકામ કરવામાં આવશે. આ કામગીરીમાં 54 બેરિંગ બદલવા અને 10 જોઈન્ટ્સ બદલવાનો સમાવેશ થાય છે.
પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના પવિત્ર ધામે મહાશિવરાત્રીના પર્વે લાખો ભક્તોની ભીડ ઉમટવાની સંભાવના વચ્ચે ગીર સોમનાથ પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક અને સુવ્યવસ્થિત સુરક્ષા આયોજન ગોઠવાયું છે. ભક્તિ અને ભાવના વચ્ચે ભક્તોને નિરાંતે દર્શન મળે અને દરેક યાત્રી પોતાને સુરક્ષિત અનુભવે તે માટે પોલીસ તંત્રે બહુસ્તરીય બંદોબસ્ત ઉભો કર્યો છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિશેષ સુરક્ષા પ્લાન અમલમાં મૂકાયો છે. મહાશિવરાત્રીના દિવસે અંદાજે 4 થી 5 લાખ યાત્રિકો આવવાની શક્યતા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો પધારવાના હોવાથી સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. આ આયોજન અંતર્ગત 11 DYSP, 50થી વધુ PI/PSI, જીઆરડી અને એસઆરપી સહિત 500થી વધુ પોલીસ જવાનો તહેનાત રહેશે. ઉપરાંત ડોગ સ્કવોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ક્વિક રિસ્પોન્સ ટીમ, ઘોડેસ્વાર પોલીસ, મેટલ ડિટેક્ટર તથા બોડીવોર્ન કેમેરાથી સજ્જ દળો સતત પેટ્રોલિંગ કરશે. મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં 70થી વધુ CCTV કેમેરા દ્વારા સતત મોનીટરીંગ થશે અને કંટ્રોલ રૂમમાંથી દરેક પ્રવૃત્તિ પર ચાંપતી નજર રાખવામાં આવશે. ભીડ નિયંત્રણ માટે અલગ-અલગ પ્રવેશ અને નિર્ગમ માર્ગો ગોઠવાયા છે. ટ્રાફિક મેનેજમેન્ટ માટે વિશેષ રૂટ ડાયવર્ઝન અને પાર્કિંગ ઝોન નિર્ધારિત કરાયા છે. ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે માર્ગદર્શક બેનરો, જાહેર સૂચનાઓ અને વોલન્ટિયરોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તા. 14 અને 15ના રોજ પ્રસિદ્ધ ગાયક કૈલાશ ખેર સહિતના કલાકારોના ભક્તિમય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર હોવાથી સાંજના સમયગાળા દરમિયાન સુરક્ષા વધુ કડક રહેશે. મહાશિવરાત્રીના પાવન અવસરે સોમનાથમાં ભક્તિ, શ્રદ્ધા અને સુરક્ષાનો અદભૂત સમન્વય સર્જાયો છે. ગીર સોમનાથ પોલીસની સુવ્યવસ્થિત કામગીરી ભક્તોને નિરાંતે દર્શન અને શાંતિપૂર્ણ ઉજવણીનો વિશ્વાસ આપી રહી છે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ચાણપા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રાજ્યપાલે ગામના અનુસૂચિત જાતિના નાગરિક ધીરુભાઈ જેઠાભાઈ વાઘેલાના નિવાસસ્થાને જમીન પર બેસીને ભોજન ગ્રહણ કર્યું હતું. રાજ્યના સર્વોચ્ચ બંધારણીય પદ પર હોવા છતાં, રાજ્યપાલે તમામ વી.આઈ.પી. પ્રોટોકોલને બાજુએ રાખી અત્યંત સાદગી અને નમ્રતાનો પરિચય આપ્યો હતો. તેમણે એક પરિવારના સભ્યની જેમ ધીરુભાઈના પરિવાર સાથે ભાવપૂર્વક ભોજન લીધું હતું. રાજ્યપાલની આ સહજતા અને આત્મીયતાએ સ્થાનિક ગ્રામજનોના દિલ જીતી લીધા હતા. આ અવિસ્મરણીય પળો અંગે હર્ષ અને આશ્ચર્ય વ્યક્ત કરતા ધીરુભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, 'અમે ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું કે રાજ્યના રાજ્યપાલ સાહેબ અમારા જેવા સામાન્ય માણસના ઘરે પધારશે. તેમણે અમારી સાથે બેસીને ભોજન લીધું અને અમારા પરિવારના હાલચાલ પૂછ્યા, જે અમારા માટે ગૌરવ અને ખુશીની વાત છે.' રાજ્યપાલના આ ઉમદા અભિગમથી ગદગદ થયેલા ધીરુભાઈએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા કહ્યું કે, 'સાહેબે અમારા જેવા ગરીબ માણસોના ઘરે પધારીને માત્ર ભોજન જ નથી લીધું, પણ અમારા આખા પરિવારના ખબર-અંતર પૂછીને અમને જે આત્મીયતાનો અહેસાસ કરાવ્યો છે તે અમે ક્યારેય ભૂલી શકીશું નહીં.'
ચિરાગ ગોટી અને તેની ગેંગ દ્વારા આચરવામાં આવેલા આતંકનો હવે અંત આવી રહ્યો હોય તેવું જણાય છે. સુરતની ચોક બજાર પોલીસે માત્ર ચિરાગ જ નહીં, પરંતુ તેના ગુનાહિત કૃત્યોમાં પડછાયાની જેમ સાથ આપનારા તેના પિતા ઘનશ્યામ ગોટીની પણ ધરપકડ કરી છે. આ આખો મામલો જમીન દલાલના અપહરણ અને ખંડણીથી શરૂ થયો હતો, જે હવે 'ગુજસીટોક' જેવા કડક કાયદા સુધી પહોંચી ગયો છે. ચિરાગ ગોટીની માથાભારે છાપ અને તેના તાલીબાની અત્યાચારના કિસ્સાઓ હજુ શાંત પડ્યા નથી ત્યાં તેના પિતા ઘનશ્યામ ગોટીની ધરપકડથી આ ગેંગના મૂળિયાં હચમચી ગયા છે. સામાન્ય રીતે પિતા પુત્રને સુધારવાનું કામ કરતા હોય છે, પરંતુ અહીં ઘનશ્યામ ગોટી તેના પુત્ર ચિરાગના દરેક કાળા કામમાં મદદગાર સાબિત થયા હતા. જમીન દલાલ જીગ્નેશ વ્યાસના અપહરણ અને ખંડણીના કેસમાં ઘનશ્યામ ગોટી અને નિરાંત ગોટી સહિતના સાત આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. ચોક બજાર પોલીસે કડક કાર્યવાહી કરીને પિતાની ધરપકડ કરી સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગુનેગારને મદદ કરનાર પણ કાયદાથી બચી શકશે નહીં. જમીન દલાલને ધમકાવી પૈસા પડાવ્યાંઆ સમગ્ર કેસનો મુખ્ય આધાર જીગ્નેશ મગનભાઈ વ્યાસ નામની વ્યક્તિ છે. જીગ્નેશભાઈનું અપહરણ કરી તેમની પાસે બે લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. ગુંડાગીરીના જોરે ચિરાગ અને તેની ગેંગે 50,000 રૂપિયા તો પડાવી પણ લીધા હતા. આ ઘટનાએ સુરતના રિયલ એસ્ટેટ અને જમીન દલાલીના વ્યવસાયમાં ફફડાટ ફેલાવ્યો હતો. ચિરાગની ગેંગ નિર્દોષ લોકોને ડરાવી-ધમકાવીને તેમની મહેનતની કમાણી હડપ કરવા માટે જાણીતી બની ગઈ હતી, જેનો હવે કાયદેસરનો હિસાબ લેવામાં આવી રહ્યો છે. ભાગીદારને ફસાવવાનું ષડયંત્ર: ડ્રગ્સ કેસમાં ખોટી સંડોવણીચિરાગ ગોટીની ક્રૂરતાની હદ ત્યારે વટાવી જ્યારે તેણે પોતાના ભૂતપૂર્વ ભાગીદારને જ ખતમ કરવાનું વિચાર્યું. ઓઈલના ધંધામાં ભાગીદારી છૂટી થયા બાદ, અદાવત રાખીને ચિરાગે પોતાના જ ભાગીદારને ડ્રગ્સના કેસમાં ફસાવવા માટે જાળ બિછાવી હતી. આ મામલો જ્યારે કોર્ટમાં પહોંચ્યો ત્યારે પોલીસને ચિરાગની વધુ કરતૂતોની જાણ થઈ. એક ગુનાની તપાસ બીજા અનેક ગુનાઓ ખોલે છે, તેમ ચિરાગની ધરપકડ બાદ તેની વિરુદ્ધ ફરિયાદોનો ધોધ વહેવા લાગ્યો છે. ગુજસીટોકનો ગાળિયો: સંગઠિત ગુનાખોરી સામે હથિયારચિરાગ ગોટી વિરુદ્ધ અગાઉ સાતથી વધુ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસ હવે તેની ગેંગની સંગઠિત ગુનાખોરીને તોડવા માટે 'ગુજસીટોક' હેઠળ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. આ કાયદો લાગુ થતાની સાથે જ આરોપીઓને જામીન મળવા મુશ્કેલ બની જશે અને તેમની ગેરકાયદે મિલકતો પર પણ પોલીસની નજર રહેશે. એસ.ઓ.જી દ્વારા જે રીતે તપાસ તેજ કરવામાં આવી છે, તે જોતા લાગે છે કે આ ગેંગના કાયમી જેલવાસના દિવસો નજીક છે. પિસ્તોલથી ધાક જમાવવાનો પ્રયાસચિરાગ ગોટીના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં તે રિવોલ્વર કે પિસ્તોલ જેવા હથિયાર સાથે જોવા મળ્યો હતો. એસ.ઓ.જી ના ડીસીપી રાજદીપ સિંહ નકુમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ હથિયાર અસલી પિસ્તોલ છે કે એરગન, તેની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. હથિયાર બતાવીને લોકોમાં ભય પેદા કરવો એ આ ગેંગની પદ્ધતિ રહી છે. જો આ હથિયાર ગેરકાયદે સાબિત થશે, તો આર્મ્સ એક્ટ હેઠળ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. ભોગ બનેલા લોકોમાં હિંમત જાગી, 10 વધુ ફરિયાદીચિરાગ ગોટીની ધરપકડ થતા જ લોકોનો પોલીસ પરનો વિશ્વાસ વધ્યો છે. અગાઉ જે લોકો ડરના માર્યા ચૂપ હતા, તેવા વધુ 10 લોકો અત્યારે પોલીસ સમક્ષ હાજર થયા છે. આ લોકોએ ચિરાગ અને તેની ટોળકી દ્વારા કરવામાં આવેલા અન્યાયની વિગતો પોલીસને આપી છે. પોલીસ હાલ આ તમામ અરજીઓની ખરાઈ કરી રહી છે અને ટૂંક સમયમાં નવી ફરિયાદો પણ દાખલ કરવામાં આવશે. આ બાબત દર્શાવે છે કે જ્યારે કાયદો કડક બને છે, ત્યારે સામાન્ય માણસની હિંમત બમણી થઈ જાય છે. લુખ્ખાઓથી ડરવાની જરૂર નથીઃ પોલીસએસ.ઓ.જી ના ડીસીપી રાજદીપ સિંહ નકુમે જાહેર જનતાને અપીલ કરી છે કે ચિરાગ ગોટી જેવા તત્વોથી ડરવાની કોઈ જરૂર નથી. પોલીસે ખાતરી આપી છે કે જે પણ લોકો ભોગ બન્યા છે તેઓ નિર્ભય બનીને સામે આવે, પોલીસ તેમને સંપૂર્ણ સહકાર આપશે. પ્લોટ કે જમીન પચાવી પાડવાના કિસ્સાઓમાં પણ કડક હાથે કામ લેવામાં આવશે.
અમદાવાદમાં અસામાજિક તત્વો બેકાબૂ છે. ફતેવાડી વિસ્તારમાં દિનપ્રતિદિન અસામાજિક તત્વો તેમજ ગુનેગારો બેફામ બની ગયા હોય તેમ જાહેરમાં છરી જેવા હથિયારો બાદ હવે ફાયરિંગની ઘટના બની છે. ગઇકાલે(12 ફેબ્રઆરી) મોડી રાત્રે ચાની કીટલી પર નહીં બેસવા બાબતે ઝઘડો થયો હતો જેની અદાવતમાં ત્રણ શખ્સોએ આવીને ચાની કીટલીવાળાને પગમાં ગોળી ધરબી દીધી અને કીટલી પર ફાયરિંગ કરી ભયનો માહોલ ફેલાવી ફરાર થઈ ગયા હતા. તો અન્ય એક બનાવમાં ફતેવાડીમાં જ ગઇકાલે સવારે ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવતા શખસને છરી બતાવી ચાંદી-મોબાઇલની લૂટ ચલાવી હતી. સમગ્ર મામલે જાણ થતાં સુપરવાઇઝર સ્થળ પર પહોંચ્યા તો તેમને પણ આરોપીઓએ છરીના ઘા માર્યા હતા. ચાની કીટલી પર આવીને ફાયરિંગ કર્યુંફતેવાડી વિસ્તારમાં મુદ્દસર અહેમદખાન પઠાણ તેના પરિવાર સાથે રહે છે. તેઓની તેમના વિસ્તારમાં ચાની કીટલી આવેલી છે. મોડી રાત્રે 1:30 વાગ્યાની આજુબાજુ તેમની ચાની કીટલી પર અરબાઝ તથા તેના બે મિત્રો જેના નામ-સરનામાની ખબર નથી. ચાની કીટલી પાસે આવીને અગાઉ ચાની કીટલી ઉપર નહી બેસવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં બેફામ ગાળો બોલી ફૈઝાન કયા છે. આજે તેને જાનથી મારી નાખવાનો છે તેમ કહી અરબાઝે મુદ્દસર પર ફાયરિંગ કર્યું હતું. જેમાં તેને જમણા પગમાં ગોળી વાગી હતી જ્યારે તેના બે મિત્રોના હાથમાં છરીઓ હતી. મુદ્દસરને પગમાં ગોળી મારીબે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં મુદ્દસરના પગમાં ગોળી વાગી હતી જ્યારે એક ગોળી ચાની કીટલી પર ચલાવી હતી. અરબાઝના બે મિત્રો પાસે છરી પણ હતી. બાદમાં આજુબાજુના માણસો ભેગા થઈ જતા અરબાઝ તથા તેના બે મિત્રો ભાગી ગયા હતા. પગમાં ઈજા થતાં મુદ્દસરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસને જાણ થતા વેજલપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. છરી બતાવી ચાંદી-મોબાઇલની લૂંટતો અન્ય એક બનાવમાં ગઈકાલે સવારે વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ફતેવાડી વિસ્તારમાં છરી બતાવીને ચાંદી અને મોબાઈલની લૂંટની ઘટના પણ બની હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરાની ગાડીમાં ફરજ બજાવનાર મૂળ દાહોદનો રહેવાસી નઇલેશ ભાભોર વહેલી સવારે તેની પત્ની સાથે ગાડી લઈને ફતેવાડી કેનાલની પાછળ એ વન પાર્ક નજીક જ્યારે કચરો લેવા માટે ગયો હતો ત્યારે બે લોકો આવ્યા હતા ને તું કેમ કચરો બરાબર ભરતો નથી એમ કહીને ઝઘડો કર્યો હતો. એક શખ્સે તેની પાસે રહેલી છરી કાઢી નઇલેશના શરીરના ભાગે મારી દીધી હતી અને તેની પાસે રહેલી ચાંદીની લકી અને મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. અને ધમકી આપી હતી કે જો આ વિશે કોઈને કહ્યું તો જાનથી મારી નાખીશું. સુપરવાઇઝરને પણ છરીના ઘા માર્યાબીજી ગાડીના ડ્રાઇવરનો મોબાઇલ ફોન લઈ અને તેના સુપરવાઇઝરને ફોન કર્યો હતો ત્યારે તેઓ આવ્યા હતા અને બંને દૂર જ હતા જેથી તેની પાસે જઈ અને આ બાબતે વાતચીત કરતા ઝઘડો કરવા લાગ્યા હતા અને સુપરવાઇઝર શહેઝાદને પણ અલગ અલગ જગ્યાએ શરીરના ઘા મારી દીધા હતા. લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા ત્યારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા બંને ફરાર થઈ ગયા હતા. સ્થાનિકોએ એક આરોપીને પકડી પોલીસને સોંપ્યોજોકે તેમાંથી એક વ્યક્તિને સ્થાનિક લોકોએ પકડી અને પોલીસને સોંપી દીધો હતો. આ મામલે વેજલપુર પોલીસે ગુનો નોંધી આરોપી અનસ શેખની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ પણ બેથી ત્રણ વખત જાહેરમાં છરી બતાવી અને હુમલાના બનાવ બાદ હવે ફાયરિંગનો બનાવ બનતા વેજલપુરના ફ્તેહવાડી વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા છે.
ત્રણેક માસ પૂર્વે ACF શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની નયનાબેન, દીકરી પ્રુથા અને દીકરો ભવ્યને મોતને ઘાટ ઉતારી દફનાવ્યો હતો જેમાં ગુમની ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ તપાસ શરૂ કરી અને ખોદકામ દરમ્યાન ત્રણેયના મૃતદેહો મળી આવ્યા હતા.જે ચકચારી ત્રીપલ હત્યા કેશમાં SITની રચના કરવામાં આવી હતી જે SIT દ્વારા સીસીટીવી ફૂટેજ, એફએસએલ રિપોર્ટ અને સાહેદોની પૂછપરછથી 1500 થી વધુ સજ્જડ પુરાવા એકત્ર કરીને શૈલેષ ખાંભલા વિરુદ્ધ કોર્ટમાં આજરોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. કેસમાં કડક સજા કરવા માટે સ્પેશિયલ પીપીની પણ માંગણી કરવામાં આવી છે. 90 લોકોના નિવેદન નોંધવામાં આવ્યાંઅત્રે ઉલ્લેખનીય છે કે, 16 નવેમ્બર, 2025ના રોજ ભાવનગરમાં કાળજું કંપાવતી ત્રીપલ હત્યા થઈ હતી, જેના 85 દિવસ પછી પોલીસે તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. જ્યારે પોલીસને 90 દિવસની અંદર (3 મહિના)માં ચાર્જસીટ કરવાનું હોય, ત્યારે 5 દિવસ પૂર્વે 85માં દિવસે સાયોગિક પુરાવાના આધારે 1500 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. પોલીસે તપાસ દરમિયાન 90 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા, જેમાં પંચો, ફોરેસ્ટ કર્મચારીઓ, પોલીસકર્મીઓ, આજુબાજુના લોકોના નિવેદનો લેવામાં આવ્યા હતા. કોર્ટ સમક્ષ 164 મુજબ 3 ફોરેસ્ટ અધિકારી અને 1 ફોરેસ્ટ મહિલા વનકર્મીના નિવેદનો લેવામાં આવ્યા હતા. શૈલેશ ખાંભલાની ઓળખ પરેડ કરવામાં આવી હતી. સાથે સીસીટીવી ફૂટેજ, એફએસલ રિપોર્ટ સાથે ચાર્જશીટ રજૂ કર્યું હતું. જ્યારે પોલીસે આ બનાવમાં નજરે જોનાર કોઈ વ્યક્તિ ન હોય ત્યારે સાયોગિક પુરાવાના આધારે પોલીસે કેશને સજ્જડ કરી ચાર્જશીટ રજૂ કર્યું હતું. 7 નવેમ્બરે આરોપીએ જ પોલીસમાં મિસિંગ અરજી કરી હતીઃ DYSP આ અંગે સિટી DYSP આર. આર. સિંઘાલ જણાવ્યું હતું કે, આશરે ત્રણેક મહિના પહેલાનો ત્રિપલ મર્ડરનો બનાવ છે, જેમાં પોતાની પત્ની, એની દીકરી અને દીકરાને મોતને ઘાટ ઉતારી, તેના સરકારી બંગલાની પાસે ખાડો ગાડી અને તેમાં આ લોકોને દફનાવી દીધા હતાં. બાદમાં પોલીસ સ્ટેશન આવીને જાણવા જોગ ગુમ થયાની અરજી દાખલ કરી હતી. 7 નવેમ્બરના રોજ ફરિયાદી શૈલેષ ખાંભલા ભરતનગર પોલીસ સ્ટેશન આવીને જણાવે છે કે, તેમની પત્ની નયનાબેન (ઉં.વ.40), તેની દીકરી પ્રુથા (ઉં.વ.13) અને તેનો દીકરો ભવ્ય (ઉં.વ.9)ના ગઈ 5 નવેમ્બરથી ગુમ છે અને તેનો ઘરનો દરવાજો બંધ છે અને આ લોકોના કપડા મળતા નથી. ‘ત્રણ દિવસની તપાસ બાદ તપાસ LCBને સોંપાઈ હતી’આ બાબતે તાત્કાલિક ભરતનગર પોલીસ સ્ટેશને ગુમ રજીસ્ટર કરવામાં આવી અને તેની ફરિયાદ અનુસંધાને પી.આઈ કુરેશી અને તેનો સ્ટાફ તપાસ કરતા હતા. ત્રણથી ચાર દિવસ થઈ જતા આ સમાજના આગેવાનો આવી એસપી નિતેશ પાંડેને રજૂઆત કરતા એસપી દ્વારા એક ટીમની રચના કરી એલસીબી પીઆઇ વાળા અને એસીબી પીએસઆઇ ઝાલાને તપાસ સોંપવામાં આવી હતી. તેના સીડીઆર અને અંગત બાતમીદારોથી બાતમી મળી હતી કે, શૈલેષ ખાંભલાના સરકારી ક્વાટર પાસે ખાડો ખોદવામાં આવ્યો છે અને તે ખાડો બુરવામાં આવ્યો. ‘ખોદકામ કરતા ત્રણ લાશ મળી આવી હતી’આ માહિતી મળતા આ બનાવમાં મેજિસ્ટ્રેટ, સરકારી પંચો, વીડિયોગ્રાફર, એફએસએલ અધિકારી અને ડોગ સ્ક્વોડ સાથે જે જગ્યા હતી, ત્યાં ખોદકામ કરતાં ત્રણ લાશ મળી આવી હતી. જે લાશને મરણજનારની બેનને ઓળખાવતા લાશ નયનાબેન, પ્રુથા અને ભવ્યની હોવાનું સાબિત થયું હતું, જેથી આ બનાવમાં સરકાર તરફે હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપી તરીકે જે ફરિયાદી હતા તે જ આરોપી હોય તે રીતની ફરિયાદ દાખલ કરવામાં આવી. આ બનાવમાં પી.આઈ કુરેશી તપાસ ચલાવી રહ્યા હતા. શૈલેષ ખાંભલાને સજા થાય તે માટે સ્પેશિયલ પીપીની માગ વધુમાં જણાવ્યું હતું કે, આ બનાવને લઈ એસ.પી નિતેશ પાંડે દ્વારા એક SIT ટીમની રચના કરવામાં આવી હતી, જેમાં ડીવાયએસપી, એલસીબી, પીએસઆઇ અને બે રાયટરોની જે ટીમ બનાવી ખૂબ જ સજ્જડ પૂરાવા મેળવવા માટે તજવીજ કરવામાં આવી. જેમાં લાગતા-વળગતા સાહેદોના નિવેદનો લેવામાં આવ્યા. ઓળખ પરેડ પણ કરવામાં આવી, જે આ બનાવનો આરોપી શૈલેષ ખાંભલાને ઓળખી કાઢ્યો હતો. સીસીટીવી ફૂટેજ, એફએસએલ રિપોર્ટ બધું મેળવી 1500થી વધુ પુરાવા મેળવી 12 ફેબ્રુઆરીએ નામદાર કોર્ટમાં શૈલેષ ખાંભલા વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવી છે. આ કેસમાં શૈલેષ ખાંભલાને સજા થાય તે અનુસંધાને સ્પેશિયલ પીપીની માંગણી એસ. પી. નિતેશ પાંડે દ્વારા કરવામાં આવી છે.
પાટણ જિલ્લામાં લોક અદાલત યોજાશે:14 માર્ચ, 2026ના રોજ સમાધાન લાયક કેસોનો નિકાલ થશે
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના નિર્દેશન હેઠળ પાટણ જિલ્લા તથા તાલુકાઓની તમામ કોર્ટોમાં 14 માર્ચ, 2026ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાટણ અને તેની તાબાની તમામ તાલુકા કાનૂની સેવા સમિતિઓ દ્વારા આ અદાલતનું આયોજન ચેરમેન-વ-મુખ્ય જિલ્લા ન્યાયાધીશ પ્રશાંત એચ. શેઠના માર્ગદર્શન હેઠળ કરાયું છે. આ લોક અદાલતનો મુખ્ય હેતુ 'ન્યાય સર્વના માટે' સૂત્રને સાર્થક કરવાનો છે, જેથી જિલ્લાના તમામ પક્ષકારોને તેનો લાભ મળી શકે. આ અદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટને લગતા કેસો, વાહન અકસ્માતને લગતા કેસો, મજૂર તકરારને લગતા કેસો, લગ્નજીવન તકરાર કે પરિવાર તકરારને લગતા કેસો, બેંકને લગતા, જમીન વળતરને લગતા કે અન્ય દાવાઓ તેમજ દીવાની કેસો સહિત તમામ પ્રકારના સમાધાન લાયક કેસો મૂકી શકાય છે. ઉપરાંત, પ્રી-લીટીગેશન કેસો એટલે કે જે કેસો કોર્ટમાં દાખલ થયા ન હોય પરંતુ પક્ષકારો વચ્ચે તકરાર હોય, તેવી તકરારોના કોર્ટમાં કેસ આવે તે પહેલા સુખદ નિકાલ લાવવા માટે પણ લોક અદાલતમાં પતાવટ કરવામાં આવશે. જે કોઈ વ્યક્તિ કોર્ટમાં ચાલતા આવા કોઈ પણ પ્રકારના સમાધાનના કેસો આ નેશનલ લોક અદાલતમાં મૂકવા માંગતા હોય, તેઓ પોતે કે પોતાના વકીલો મારફત સંબંધિત અદાલતમાં પોતાના કેસો મૂકી શકે છે. આ માટે તેમણે સંબંધિત જિલ્લાની કોર્ટો કે તાલુકાની કોર્ટોનો સંપર્ક કરવા પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી આર.એ. નાગોરીએ જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવન દ્વારા નિર્મિત બોટનિકલ ગાર્ડન વિદ્યાર્થીઓ માટે રિસર્ચનું કેન્દ્ર બન્યું છે કારણકે અહીં પ્રાકૃતિક ખેતી અને મેડિશનલ પ્લાન્ટનો અનોખો સમન્વય છે. 5 એકરમાં પથરાયેલા આ ગાર્ડનમાં જંગલી બદામ, મીઠો લીમડો, પારસ પીપળો અને નીલગીરીના મેડિશનલ પ્લાન્ટની સાથે ગુલાબી અને લીલી કોબી, ટામેટા, ગાજર અને રિંગણનું વાવેતર કરાયું છે. અહીં દુનિયામાં હરણફાળ ભરતા ઓર્નામેન્ટલ ફિશિઝના બિઝનેસને ડેવલપ કરવા પદ્મકુંડનું નિર્માણ પણ કરાયું છે. જેનો સર્ટિફિકેટ કોર્સ પણ શરૂ થવાનો છે. ભવિષ્યમાં અહીં બટરફ્લાય અને ફ્રૂટ ગાર્ડનની સાથે ગ્રીન હાઉસ બનાવવાનું પણ આયોજન છે. બાયોસાયન્સ ભવનના અધ્યક્ષ ડૉ.રમેશ કોઠારીએ જણાવ્યુ હતુ કે, આજથી 20 દિવસ પહેલા કુલપતિએ મને કહ્યું કે અહીં પ્રાકૃતિક ખેતી કે તેને સંલગ્ન કઈ થાય. અમારા ભવનમાં M.Sc. માઇક્રોબાયોલોજી, ઝૂ લોજી, બોટની અને બાયોટેકનોલોજી વિષયના વિદ્યાર્થીઓ માટે બોટનિકલ ગાર્ડન ખૂબ જ ઉપયોગી બને છે. જેથી આ બોટનિકલ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં મેડિસનલ પ્લાન્ટ રાખવામાં આવ્યા છે. અહીં મેથી, ધાણા, કોબી, મરચા અને રીંગણનું વાવેતર કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક ખેતીને ધ્યાનમાં રાખીને આ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. અહીં અલગ અલગ 20 પ્રકારના મેડિસનલ પ્લાન્ટ વાવવામાં આવ્યા છે. જ્યારે વિદ્યાર્થિની મીરા ઓડિચે જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ બોટનિકલ ગાર્ડનમાં પદ્મ કુંડ તૈયાર કરવામાં આવ્યુ છે. અહીં ઓપન એક્સપરિમેન્ટલ સ્પેસ છે જ્યાં અમારા જેવા વિદ્યાર્થીઓ રિસર્ચ કરી શકે છે. ન્યુ એજ્યુકેશન પોલીસી અંતર્ગત અહીં ઓર્નામેન્ટલ ફિશ પરનો સર્ટિફિકેટ કોર્સ શરૂ થશે. જેનાથી પણ વિદ્યાર્થીઓને ફાયદો થશે. આ અંગે અધ્યાપક ડૉ. ભાવિક વાંકાણીએ જણાવ્યુ હતુ કે, જાપાન, ચીન અને ઇન્ડોનેશિયા 180 મિલિયન ડોલર ઓર્નામેન્ટલ ફિશિઝની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. આગામી પાંચ વર્ષમાં આ ઉત્પાદન ક્ષમતા બે ગણી થવાની સંભાવના છે ત્યારે વર્લ્ડના ચાલી રહેલા ટ્રેન્ડની સાથે જોડાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓર્નામેન્ટલ ફિશિઝનો કોર્સ શરૂ કરવાની તૈયારી છે. બોટનિકલ ગાર્ડનમાં કયા કયા મેડિસન પ્લાન્ટ છે? બહેડા, કાંચનાર, ફાલસા, જંગલી બદામ, જાસુદ, અશોક, મીઠો લીમડો, સેતુરી, સિંદુર, અર્જુન સાદડ, બીલી, મોટા રાવણા, ગરમાળો, ખાખરો, કરમદા, પારસ પીપળો, ફણસ, કરંજ અને નીલગીરીના પ્લાન્ટ છે. આ ઉપરાંત અહીં સૌરાષ્ટ્રમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળતા ગુગળનો પ્લાન્ટ છે. જે દરેકના 3- 3 પ્લાન્ટનું વાવેતર અહીંના વિદ્યાર્થીઓને અધ્યાપકો દ્વારા કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક ખેતીથી ઉગતા શાકભાજી આરોગ્યપ્રદ બનશે અહીં પ્રાકૃતિક ખેતીનો પ્રકલ્પ સાકાર કરવામાં આવ્યો છે. જેમાં કોથમરી, મેથી, પાલક, ગાજર, મુળા, બીટ, 2 પ્રકારના ટામેટા, કોબી, રીંગણ, મરચીનું વાવેતર કરવામાં આવ્યું છે.
પાટણ શહેરમાં વસ્તી અને ભૌગોલિક વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં, સફાઈ કામદારોનું મહેકમ વર્ષ 1961નું જૂનું છે. આ કારણે શહેરની સફાઈ વ્યવસ્થા ખોરવાઈ રહી છે. પાટણ વાલ્મિકી સમાજ સેવા વિકાસ મંડળે નગરપાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરીને કાયમી સફાઈ કામદારોની સંખ્યા વધારવા અને નવું મહેકમ મંજૂર કરવા માટે દરખાસ્ત મોકલવાની માંગ કરી છે. વર્ષ 1961માં પાટણ નગરપાલિકા માટે 210 સફાઈ કામદારોનું મહેકમ નક્કી કરાયું હતું. છેલ્લા છ દાયકામાં પાટણનો વિકાસ થયો છે અને તે જિલ્લા મથક બન્યું છે, તેમ છતાં સફાઈ કામદારોની સંખ્યામાં કોઈ વધારો થયો નથી. નિવૃત્ત થતા કામદારોના સ્થાને નવી ભરતી ન થવાને કારણે હાલમાં માત્ર 71 કાયમી સફાઈ કામદારો જ ફરજ બજાવી રહ્યા છે. આ પરિસ્થિતિ શહેરની સ્વચ્છતા પર ગંભીર અસર કરી રહી છે. નગરપાલિકાને કરાયેલી રજૂઆત મુજબ, વર્ષ 2015થી પાટણ નગરપાલિકાની હદમાં આશાપુર, માતરવાડી, રામનગર અને બકરાતપુરા જેવા નવા વિસ્તારોનો સમાવેશ કરાયો છે, જેનાથી શહેરનો ભૌગોલિક વિસ્તાર ઘણો મોટો થયો છે. સફાઈ કામદાર આયોગ, દિલ્હીના નિયમ અનુસાર, 1 લાખની વસ્તીએ ઓછામાં ઓછા 500 કાયમી સફાઈ કામદારો હોવા અનિવાર્ય છે, જેની સામે પાટણમાં કામદારોની મોટી અછત છે. પ્રધાનમંત્રીના 'સ્વચ્છ ભારત' અભિયાનને સાકાર કરવા માટે પાટણ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોનું નવું મહેકમ તૈયાર કરીને સરકારમાં મોકલવું જરૂરી બન્યું છે. આ મામલે વાલ્મિકી સમાજ સેવા વિકાસ મંડળના આગેવાન રામજીભાઈ સોલંકીએ જણાવ્યું કે, નગરપાલિકા પ્રમુખે રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે અને આ પ્રશ્ન યોગ્ય હોવાનું સ્વીકારી ઉચ્ચ કક્ષાએ દરખાસ્ત મોકલવાની ખાતરી આપી છે. નવું મહેકમ મંજૂર થાય તો જ શહેરની સફાઈ વ્યવસ્થા સુદ્રઢ બની શકશે.
આજે ટેકનોલોજી જેમ-જેમ આધુનિક થઈ રહી છે, તેમ-તેમ હવે બુટલેગરો પણ અપડેટ થઈ અવનવા નુસખા અપનાવી પોલીસની આંખોમાં ધૂળ નાખી રહ્યાં છે. કોઈ સમજી કે વિચારી ન શકે તેવી ટેકનિક અપનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ હાઈટેક તરકીબને જોઈ વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ પણ ચોંકી ઉઠી હતી. ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રસ્તામાં વોચ ગોઠવીવડોદરા ગ્રામ્ય જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે. આર. સિસોદીયા અને ટીમ મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે નંબર પ્લેટ વગરની ખુલ્લી બોડીવાળી ગાડીમાં અંડરગ્રાઉન્ડ ખાનું બનાવી વિદેશી દારૂ દુમાડ તરફથી નમીસરા ગામ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા લામડાપુરા કેનાલ પાસે, પેટ્રોલ પંપ નજીક સાવલી-વડોદરા રોડ પર ગાડીની વોચ રાખી હતી. ગાડીની તપાસ કરતા બે શખસ મળી આવ્યાંબાતમી વાળી ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી બે વ્યક્તિ મળી આવ્યા હતા, જેમાં કલુ ઉર્ફે કલ્પેશ ચીમનભાઈ જાતે નાયક (રહે. ભીંડોલ, વાઘ ફળીયું, તા. જેતપુરપાવી, જિ. છોટાઉદેપુર), અરૂણભાઈ હીરાભાઈ જાતે તડવી (રહે. પાનવડ, જુના પટેલ ફળીયા, તા. કવાટ, જિ. છોટાઉદેપુર)ને ઝડપી પૂછપરછ કરતા પોલીસે હકીકત બહાર લાવી કાર્યવાહી હાથ ધરી હતી. ડ્રાઇવર સીટની નીચે ચોરખાનું મળી આવ્યુંતપાસ દરમિયાન ગાડીની કેબિનમાં ડ્રાઇવર સીટની નીચે તથા પાછળની બોડીમાં પાર્ટીશન પાડી ગુપ્ત ખાનું બનાવેલું હોવાનું સામે આવ્યું હતું. તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ગણતરી કરતાં કુલ 124 ક્વાર્ટર-બીયરની બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ.2,95,567 રૂપિયા થાય છે. આ સાથે પોલીસે ગાડી સહિત કુલ રૂપિયા 5,15,567 ના મુદ્દામાલ સાથે બે ઇસમો સામે કાર્યવાહી હાથ ધરી છે. MP બોર્ડરથી દારૂની હેરાફેરીપૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે, દારૂનો જથ્થો એમ.પી.બોર્ડર પાસેથી ગાડીમાં ભરીને લાવવામાં આવ્યો હતો અને તે નમીસરા ગામના રાકેશ નામના વ્યક્તિને આપવાનો હતો. આ અંગે મંજુસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે આ જથ્થો મંગાવનાર આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢના ભવનાથમાં જ્યાં એક તરફ શિવરાત્રિના મેળામાં ભક્તિ અને ભજનનો પ્રવાહ વહી રહ્યો છે, ત્યાં બીજી તરફ દત્ત ચોક વિસ્તારમાં એક સાધુના હિંસક વર્તનને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 12 ફેબ્રુઆરીની રાતે એક નાગા સાધુએ અચાનક ઉશ્કેરાઈ જઈને હાથમાં ખુલ્લી તલવાર ધારણ કરી નિર્દોષ લોકો અને શ્રદ્ધાળુઓ પાછળ દોડી તેમને ડરાવ્યા હતા. સાધુના આ રૌદ્ર અને અસંયમિત રૂપને જોઈને પવિત્ર મેળામાં દર્શનાર્થે આવેલા યાત્રિકોમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા આમ-તેમ દોડતા નજરે પડ્યાં હતા. સૂતેલા લોકોને ડરાવ્યાં, વાંદરાએ અનેકને બચકા ભર્યાઆ હિંસક બનેલા સાધુએ માત્ર તલવારથી જ ડર નથી ફેલાવ્યો, પરંતુ રસ્તાની બાજુમાં સૂતેલા નિરાધાર અને નિર્દોષ લોકોને પણ બેફામ માર માર્યો હતો. આટલું ઓછું હોય તેમ, સાધુએ પોતાની સાથે રહેલા કપિરાજ (વાંદરા) દ્વારા પણ લોકો પર હુમલો કરાવ્યો હતો. આ કપિરાજે અનેક શ્રદ્ધાળુઓને બચકા ભરીને અને પંજા મારીને ઈજા પહોંચાડી હતી. દત્ત ચોક જેવા વ્યસ્ત વિસ્તારને સાધુએ જાણે બાનમાં લીધો હોય તેવી સ્થિતિ સર્જાતા મેળાના શાંત અને ધાર્મિક વાતાવરણમાં ડર અને દહેશતનો માહોલ વ્યાપી ગયો હતો. પોલીસને જાણ થતા સ્થળે દોડી આવીસ્થાનિક લોકો અને દૂર-દૂરથી આવેલા યાત્રિકોમાં આ પ્રકારના અશોભનીય વર્તનથી ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ભારે જહેમત બાદ ઉશ્કેરાયેલા સાધુને કાબૂમાં લઈ તેની અટકાયત કરી હતી અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. હાલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
સ્ટેટ જીએસટીના ભાવનગર યુનિટ દ્વારા કમ્પોઝિશન ટેક્સ તળે નોંધાયેલા કરદાતા તેઓની મુક્તિ મર્યાદાથી વધુના વેચાણ કરી અને કરચોરી કરી રહ્યા હોવાની ડેટા ચકાસણીના આધારે કરવામાં આવેલી રેડમાં વેરો, વ્યાજ, દંડના 20 લાખ રૂપિયા વસુલવામાં આવ્યા હતા. લગ્ન પ્રસંગે કપડા ભાડે આપી રહેલી વાઘાવાડી રોડ પર આવેલી પેઢી એ-1 શેરવાની દ્વારા કમ્પોઝિશન ગુડ્ઝ શ્રેણીમાં તેઓને મળી રહેલી વેચાણ મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાની ફલીત થયું હતુ. સ્ટેટ જીએસટીના અધિકારીઓ દ્વારા સ્થળ ચકાસણી કરતા તેઓને કોમ્પ્યુટર ડેટા, ભાડે અપાતા કપડાના ભાડા વસુલીના રેકોર્ડમાં ગોલમાલ, બેંક ખાતાની વિસંગતતા મળી આવી હતી. પેઢી પાસેથી 20 લાખ રૂપિયાનો દંડ, વ્યાજ, વેરો વસુલવામાં આવ્યો હતો. સ્ટેટ જીએસટીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, કમ્પોઝિશન ગુડ્ઝ અને કમ્પોઝિશન સર્વિસ ડિલરો દ્વારા તેઓના કમ્પોઝિશન ટેક્સ રજીસ્ટ્રેશનમાં આપવામાં આવેલી મર્યાદાનું ઉલ્લંઘન કરી અને વધુ રકમનું વેચાણ કરી રહ્યા હોવાનું કોમ્પ્યુટર ડેટા, જુના રિટર્ન અને માર્કેટમાં ગુપ્ત રાહે શકમંદ વેપારીઓની કરવામાં આવેલી રેકી બાદ વધુ વેપારીઓ પણ શંકાના પરિઘમાં આવેલા છે, અને હાલ તેઓના ડેટા એનાલીસીસનું કામ ચાલી રહ્યું છે.
પઠાણી ઉઘરાણી:યુવકની ગેરહાજરીમાં વ્યાજખોરે ઘરે આવી પત્નિ પાસેથી રૂપિયા 8 હજાર પડાવી લીધા
ભાવનગર શહેરમાં રહેતા એક યુવકે પીરછલ્લાના વ્યાજખોરને 1.20 લાખ રૂપિયા વ્યાજ સહિત ચુકવી આપવા છતાં પણ વ્યાજખોરે યુવકની ગેરહાજરીમાં ઘરે આવી, યુવકની પત્નિ પાસેથી આઠ હજાર રૂપિયા પડાવી, યુવક પાસેથી વધુ 1.20 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી, ગાળો આપી, માનસિક ત્રાસ ગુજારતા ડ્રાઇવીંગ કરતા યુવકે પીરછલ્લાના વ્યાજખોર વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. ભાવનગર શહેરમાં આનંદનગર વિસ્તારમાં રહેતા અને ટ્રક ડ્રાઇવીંગ કરતા સુનીલભાઇ પ્રવીણભાઇ પુરોહીતે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને એકાદ વર્ષ અગાઉ ટ્રકના વ્યવસાય માટે રૂપિયાની જરૂર પડતાં પીરછલ્લા મંગલમ ફ્લેટમાં રહેતા જીતેન્દ્રભાઇ બાબુભાઇ પરમાર નામના શખ્સ પાસેથી રૂા. 1,00,000 દસ ટકા લેખે લેવાનું નક્કી કરેલ હતુ. જેને લઇને જીતેન્દ્રભાઇએ અગાઉથી દસ હજાર કાપી સુનીલભાઇને 90,000 રૂપિયા દસ ટકા લેખે વ્યાજે આપેલ હતા. જે બાદ સમયાંતરે સુનીલભાઇએ વ્યાજ સહિત રૂા. 1.20 લાખ જીતેન્દ્રભાઇને ફોન પે તેમજ અન્ય રીતે ચુકવી દિધેલ હતી. જે બાદ પણ જીતેન્દ્ર નામના વ્યાજખોરે સુનીલભાઇને વધુ રૂા. 1.20 લાખ મુદ્દલની રકમ આપવી પડશે તેમ કહી, અવાર નવાર ત્રાસ આપતા હતા. જે બાદ એક દિવસ સુનીલભાઇ ઘરે હાજર ન હોય જે દરમિયાન જીતેન્દર્ પરમાર મોટર સાયકલ લઇને સુનીલભાઇના ઘરે આવી, સુનીલભાઇના પત્નિને ધોકો બતાવી, તારો ઘરવાળો ક્યાં ગયેલ છે? મારી પાસેથી વ્યાજે લીધેલ પૈસા હજુ હજુ પુરા પાડેલ નથી અને જો મને તારો પતિ વ્યાજ સહિત રૂાપિયા 1.20 લાખ પાછા નહીં આપે તો હું તને તથા તારા પતિ સુનિલને ગમે ત્યાંથી ગોતીને મારી નાંખીશ તેમ ધમકી આપી, સુનીલભાઇના પત્નિ પાસે રહેલા રૂા. 8,000 પડવી લઇ ફરાર થઇ જતાં સુનીલભાઇ પુરોહિતે આનંદનગરના વ્યાજખોર વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. વ્યાજખોરે યુવક પાસેથી ટ્રકની આર.સી.બુક પડાવી લીધેલીવ્યાજખોર જીતેન્દ્ર પરમારે એક લાખ રૂપિયા વ્યાજે આપી, સુનીલભાઇ પાસે લખાણ કરાવેલ હતી અને બાદમાં સુનીલભાઇના ટ્રકની આર.સી.બુક પડાવી લેવામાં આવી હતી. સુનીલભાઇએ વ્યાજ સહિત રૂા. 1.20 લાખ ચુકવી આપવા છતાં પણ વધુ રૂા. 1.20 લાખની પઠાણી ઉઘરાણી કરી આર.સી.બુક ન આપી, ત્રાસ આપ્યાનું જાણવા મળ્યું હતું.
બોર્ડની પરીક્ષા:આ વર્ષે જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં 1,453 પરીક્ષાર્થીનો વધારો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને ધો. 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા તા.26 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે જેમાં ભાવનગર જિલ્લામાં ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહમાં કુલ મળીને 62,510 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગત વર્ષે બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષામાં 61,057 પરીક્ષાર્થી હતા તેમાં આ વર્ષે 1,453નો વધારો થયો છે. જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.ભાવનગરના ડીઇઓ કચેરીમાંથી ઇઆઇ વિક્રમસિંહ પરમાર હાજર હતા. ભાવનગર જિલ્લામાં ધોરણ-10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓમાં 2197 બ્લોકમાં 62,510 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં કુલ 37,501 વિદ્યાર્થીઓ નોંધાયા છે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 18,717 તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 6,292 વિદ્યાર્થીઓ નોંધાયા છે. તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. જેમાં ધો.10માં ત્રણ ઝોન રાખવામાં આવ્યા છે. ભાવનગર શહેરમાં માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલ અને મુક્તાલક્ષ્મી મહિલા વિદ્યાલય તેમજ મહુવામાં કે.જી.મહેતા કન્યા વિદ્યાલયને સમાવેશ કરાયો છે. જ્યારે શહેરમાં માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલમાં સામાન્ય પ્રવાહ માટે અને તળાજા મોડેલ સરકારી વિનિયન કોલેજ તળાજામાં બનેમાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ માટે ઝોનલ કચેરી રહેશે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ધો.10 અને 12 (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડ પરીક્ષાના સફળ સંચાલન માટેનો એકશન પ્લાન રજૂ કર્યો હતો. વિડીયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટ શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ તમામ જિલ્લાને બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તેવું સુચારૂં આયોજન ઘડી કાઢવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. સેન્ટર આજુબાજુ ઝેરોક્ષ, ફેક્સ, સ્કેનર બંધ રાખવા આદેશપરીક્ષા કેન્દ્રોની 100 મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનરનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનર મશીનના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રોમાં મોબાઈલ ફોન કે અન્ય ઈલેક્ટ્રોનિકસ ગેઝેટ લઈ જવા તથા તેના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રોની 100 મીટર ત્રિજ્યામાં 4 કે તેથી વધુ માણસો એકઠા થવા પર અને કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય કોઇ અનધિકૃત વ્યક્તિએ પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જિલ્લામાં પરીક્ષાર્થી અને સેન્ટરની સંખ્યા વધારાની બસો ફાળવવા તાકીદ કરાઇકેન્દ્રો પર પીવાના પાણી સહિતની સુવિધાઓ, પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસો ફાળવવા, વીજ પુરવઠો સતત જળવાઇ રહે તે સાથે પરીક્ષાની તૈયારીઓ કરી હતી.
MLA દ્વારા કરાઈ રજૂઆત:વલભીપુર CHCમાં તબીબોની તાત્કાલિક નિમણૂંક કરવા ધારાસભ્યની રજૂઆત
વલભીપુર ખાતે 26મી જાન્યુઆરી-2026ના પ્રજાસત્તાક પર્વની ભાવનગર જિલ્લા કક્ષાની ઉજવણીની સાથે ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે વલભીપુર CHC (સામૂહિક આરોગ્ય કેન્દ્ર)ને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. વલભીપુર તાલુકાના લોકોની આરોગ્ય સુખાકારી માટે કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધા સાથે બે માળની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે વલભીપુર CHCમાં ડોક્ટરોના અભાવે ર્દદીઓ હાલાકી ભોગવી રહ્યાના સૌરાષ્ટ્ર સમાચારના અહેવાલની અસરથી CHCમાં તબીબોની તાત્કાલિક નિમણુંક કરવા ધારાસભ્યએ રજુઆત કરી છે. વલભીપુરની મુલાકાતે આવેલા ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડીયાએ વલભીપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઘટતા બે ડોકટરોની તાત્કાલીક રીતે નિમણુંક કરવામાં આવે તેવી રાજયના આરોગ્ય મંત્રીને લેખીત રજુઆત કરી છે. CHCમાં તબીબોની નિમણુંક ઉપરાંત CHC કેમ્પસમાં આવેલ જર્જરીત બની ગયેલા સ્ટાફ કવાર્ટસની જગ્યાએ નવા કવાર્ટસ બનવવાની માંગણી કરી છે. વલભીપુરમાં કરોડો રૂપીયાના ખર્ચે બનાવામાં આવેલ આધુનીક સુવિધાસ્ભર સામૂહિક આરોગ્ય કેન્દ્રની હાલત જરૂરી તબીબોને અભાવે વરરાજા વગરની જાન જેવી સ્થિતિ સર્જાણી છે. વલભીપુર CHC નિયમિત ત્રણ તબીબોની સામે હાલ માત્ર એક તબીબ જ હાજર હોય છે. જેમાં બે તબીબ ઉચ્ચ અભ્યાસ અર્થે ગયા પછી એક તબીબ પુન: ફરજ પર હાજર થઇ ગયા છે અને બીજા તબીબ હજુ હાજર થયા નથી. જેને લઇ વલભીપુર તાલુકામાં નારાજગી ફેલાઇ છે ત્યારે વલભીપુર તાલુકાની જનતા આરોગ્યલક્ષી પ્રશ્નો બાબતે અખબારી અહેવાલને પગલે પ્રજાના પ્રતિનિધિ એવા ગઢડાના ધારાસભ્યએ આરોગ્ય મંત્રીને રજૂઆત કરતા તબીબોનો પ્રશ્ન ઉકેલાઈ જશે તેવી આશા જન્મી છે. વલભીપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોની નિમણુંક થાય તો તાલુકાના લોકોને ભાવનગર સુધીનો ધક્કો ખાવાનો બંધ થઈ જાય છે ત્યારે આ બાબતે સંબંધિત તંત્રવાહકોએ યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે.
ભાવનગર જિલ્લાના સિહોર ગામે એક શખ્સે જાહેરમાં કુહાડી લઇને નિકળ્યો હતો અને આતંક મચાવ્યો હતો જે બાદ કચરો ફેંકવા જતા એક વૃદ્ધા ઉપર કુહાડીથી જીવલેણ હુમલો કરી, માથાના ભાગે કુહાડીના આડેધડ ઘા ઝીંક્યા હતા. જે દરમિયાન વૃદ્ધાને બચાવવા દોડેલા યુવકને પણ શખ્સે કુહાડીના ઘા ઝીંકી ફરાર થઇ જતાં સિહોરમાં ભારે ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. જે ઘટના બાદ ગંભીર હાલતે વૃદ્ધા અને યુવકને સારવારમાં ખસેડાયા હતા જ્યાં વૃદ્ધાના પુત્રએ શખ્સ વિરૂદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. ભાવનગર જિલ્લાના સિહોર ગામે રૂખડાવાળી શેરી મોટા ચોકમાં રહેતા અને કલર કામ કરતા ધર્મેશભાઇ રામજીભાઇ પલાણીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સિહોર રેલ્વે સ્ટેશન ઉપર કલર કામ કરી રહ્યા હતા જે દરમિયાન તેમના પુત્રનો ફોન આવેલ અને બાને માથાના ભાગે ઇજા થઇ છે તેમ કહેતા ધર્મેશભાઇ ઘરે દોડી આવ્યા હતા. જે બાદ તેમના માતા હીરાબેન આજે તેમના ઘરે હતા તે વેળાએ તેઓ કચરો ફેંકવા ઘરની બહાર ગયા હતા. જે દરમિયાન તેમની સોસાયટીમાં રહેતો ભુપત શાંતીભાઇ હરીયાણી કુહાડી સાથે ધસી આવ્યો હતો અને કચરો ફેંકવાની દાઝ રાખી વૃદ્ધા હિરાબેન ઉપર કુહાડી લઇને તૂટી પડ્યો હતો અને હિરાબેનને માથાના ભાગે કુહાડીના ઉપરા ઉપરી ઘા ઝીંક્યા હતા. જે વેળાએ હિરાબેને બચાવોની રાડો પાડતા કૃપાલભાઇ નામનો યુવક હિરાબેનને બચાવવા દોડી પડ્યો હતો જેને પણ શખ્સે કુહાડીના ઘા ઝીંકી, ગંભીર ઇજા કરી ફરાર થઇ જતાં સિહોરમાં ભારે ભયનો માહોલ છવાઇ જવા પામ્યો હતો. જે ઘટના બાદ વૃદ્ધા હિરાબેન અને કૃપાલભાઇને ગંભીર હાલતે સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં હિરાબેનના પુત્ર ધર્મેશભાઇએ ભુપત શાંતિભાઇ હરીયાણી વિરૂદ્ધ સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મારમાર્યો:બેલા ગામે પુત્રએ મિત્રો સાથે મળી મોટાભાઇ-પિતાને ગંભીર મારમાર્યો
તળાજાના બેલા ગામે વાડી વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે તેના પુત્રને ખોટી લત્તે ચડેલા મિત્રો સાથે ન રહેવા બાબતે ઠપકો આપતા પુત્રએ ત્રણ મિત્રો સાથે મળી પિતા અને મોટા ભાઇને શરીરના જુદા જુદા ભાગો ઉપર આડેધડ ગંભીર મારમારી, ઇજા કરી ફરાર થઇ જતાં પિતા-પુત્રને ઇજાગ્રસ્ત હાલતે સારવારમાં ખસેડાયા હતા. જ્યાં પિતાએ પુત્ર સહિત ચાર શખ્સો વિરૂદ્ધ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા ગામે વાડી વિસ્તારમાં રહેતા લાલજીભાઇ બહાદુરભાઇ પરમાર (ઉ.વ.70)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના ઘરની સામે રહેતા દિનેશ બીજલભાઇ પરમાર, શૈલેષ બીજલભાઇ પરમાર, રાજુ બીજલભાઇ પરમાર ત્રણેય ખોટી લત્તે ચડેલા હોય જેની સાથે લાલજીભાઇનો પુત્ર વશરામ રહેતો હોય જેની સાથે ન રહેવા માટે લાલજીભાઇએ તેમના નાના પુત્ર વશરામભાઇને ઠપકો આપ્યો હતો. જેને લઇને તેમના પુત્ર સહિત ચારેય શખ્સોએ એક સંપ કરી, પિતા વશરામભાઇ અને મોટા ભાઇ અજયભાઇને લાકડાના ધોકાથી શરીરના ભાગો ઉપર ગંભીર મારમારી, ઇજા કરી ફરાર થઇ ગયા હતા. જે બાદ ઇજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં પિતા લાલજીભાઇ બહાદુરભાઇ પરમારએ તેમનો નાનો પુત્ર વશરામ લાલજીભાઇ પરમાર, દિનેશ બીજલભાઇ પરમાર, શૈલેષ બીજલભાઇ પરમાર અને રાજુ બીજલભાઇ પરમાર વિરૂદ્ધ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ધરપકડ:બગદાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ સહિત દસ શખ્સોની ધરપકડ કરાઇ
ભાવનગરના સિહોર ગામના નવાગામથી કનીવાવ ગામ તરફ જવાના રસ્તે બે પરિવારો વચ્ચે જમીન પ્લોટની વિવાદને લઇને સિહોર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જે બંદોબસ્ત હોવા છતાં પણ કેટલાક શખ્સો દ્વારા સશસ્ત્ર હથિયારો ધારણ કરી, બે પરિવાર વચ્ચે જૂથ અથડામણ સર્જાતા સિહોર પોલીસે ફરિયાદી બની સોળ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી. જે મામલે સિહોર પોલીસે બગદાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ સહિત દસ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સિહોર ખાતે ગઇકાલે રાત્રીના રોજ બે પરિવારો વચ્ચે ચાલી આવતા જમીન પ્લોટના વિવાદને લઇને સિહોર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. છતાં બગદાણા પોલીસ મથકના કોન્સ્ટેબલનો પરિવાર તેમજ સામા પક્ષે રહેલા પરિવારના સોળ શખ્સો દ્વારા જૂથ અથડામણ સર્જાવા પામી હતી. જે મામલે સિહોર પોલીસ ફરિયાદી બની હતી અને સોળ શખ્સો વિરૂદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેને પગલે સિહોર પોલીસે સિહોર ખાતે રહેતા અને બગદાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ લખનસિંહ ભુપતસિંહ નકુમ, શૈલેષ દિપશંગભાઇ મોરી, દશરથ દેવશંગભાઇ પરમાર, પ્રતાપ જેસંગભાઇ પરમાર, વિક્રમ જેઠાભાઇ પરમાર, મોન્ટુ જેસંગભાઇ ચૌહાણ, હિતેશ દિપશંગભાઇ ચાવડા, મનુ વજાભાઇ નકુમ, કાળુ હરિભાઇ નકુમ, પ્રતાપ દેહાભાઇ નકુમની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરાઇ છે.
વીજકર્મીઓએ વ્યક્ત કર્યો વિરોધ:ભાવનગર સહિત રાજ્યમાં હજારો વીજ કર્મચારીઓએ નોંધાવ્યો વિરોધ
પાવર સેક્ટરમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ખાનગીકરણ અને આઉટસોર્સીંગ નીતિને પ્રાધાન્ય આપતા વીજળી (સુધારા) બિલ-2025 મામલે નિર્ધારિત કાર્યક્રમ અનુસાર રાજ્યમાં હજારો વીજ કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. દિલ્હી સંસદભવનમાં રજૂ થનારા વીજળી (સુધારા) બિલ-2025 મામલે કેન્દ્ર સરકારના મક્કમ વલણના વિરોધમાં 12મી ફેબ્રુઆરીના AIPEF (ઓલ ઇન્ડિયા પાવર એન્જીનિયર્સ ફેડરેશ)ની સાથે ગુજરાતમાં GEBEA અને AGVKS સંગઠનો સાથે જોડાયેલા સભ્યો પણ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ભાવનગર શહેરમાં સ્થાનિક કક્ષાએ ચાવડી ગેટ સ્થિત PGVCL ભાવનગર સર્કલ કચેરીની બહાર જીઇબી એન્જીનીયર્સ એસોસીએશન અને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ સાથે જોડાયેલા એન્જીનીયર્સ તથા કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. PGVCLમાં ભાવનગર સર્કલ કચેરી સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અમરેલી, અંજાર, ભુજ, બોટાદ, જામનગર, જૂનાગઢ, મોરબી, પોરબંદર, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર સર્કલ કચેરીઓમાં પણ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો થયા હતા. વિરોધ પ્રદર્શનમાં 45 હજાર જેટલા કર્મચારીઓ જોડાયાવીજળી (સુધારા) બિલ-2025ના વિરોધમાં ઓલ ઇન્ડિયા પાવર એન્જીનિયર્સ ફેડરેશને રાષ્ટ્ર વ્યાપી હડતાલમાં આજે ગુજરાત રાજ્યમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનમાં 45 હજાર જેટલા કર્મચારીઓ જોડાયા હોવાથી કાર્યક્રમ સફળ રહ્યો હતો ત્યારે જો વીજળી (સુધારા) બિલ-2025 લાગુ કરવાનો પ્રયાસ કરાશે તો AIPEFની સૂચના અનુસાર વધુ આક્રમક કાર્યક્રમો આપવામાં આવશે. > એચ.જી.વઘાસિયા, જનરલ સેક્રેટરી, જીઇબી એન્જિનિયર્સ એસોસિએશન
સરકારી લેબોરેટરીમાં પનીરના 5 નમૂના ફેઈલ:લુઝ પનીર વેચાય છે બનાવટી, દુગ્ધાલયના નમુના સબ સ્ટાન્ડર્ડ
ભાવનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જાન્યુઆરી થી ડિસેમ્બર 2025 દરમિયાન પનીર લુઝ, કંપની પેક પનીર, મલાઈ પનીર, લો-ફેટ વગેરેના વાઘાવાડી શેડ.રિંગ રીડ, આખલોલ જકાતનાકા, ચિત્રા, ઘોઘા સર્કલ, ડોન ચોક, 14 નાળા, સરદાનગર વગેરે વિસ્તારમાંથી મળી 10 સેમ્પલ લેવામાં આવેલ છે તથા ટેસ્ટ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા અગાઉ લેવામાં આવેલ નમૂનાઓ પૈકી જોગીંદરસિંહ ચરણસિંહ સૂદે શેરે પંજાબ ઢાબ ચિત્રા પાસેથી પનીર લૂઝનો નમૂનો લેવામાં આવેલ હતો. જે સરકારી લેબોરેટરી દ્વારા સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. નરેન્દ્રસિંહ ચરણસિંહ સુદે, શેરે પંજાબ ઢાબા ચિત્રા પાસેથી પનીર લુઝનો નમૂનો લેવામાં આવલ હતો જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. પંડ્યા અનીલ પ્રેમશંકર પંડયા દુગ્ધાલય આખલોલ જકાતનાકા પાસેથી પનીર લુઝનો નમૂનો લેવામાં આવેલ હતો જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. રવિરાજસિંહ ચંદ્રસિંહ સરવૈયા, સોફ્ટ બી. વાઘાવાડી રોડ પાસેથી પનીર લૂઝનો નમૂનો લેવામાં આવેલ હતો જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ. રઘુભાઇ ગીગાભાઈ માયડ, વૃંદાવન રેસ્ટોરન્ટ, રિંગ રીડ પાસેથી પનીર લુઝનો નમૂનો લેવામાં આવેલ હતો જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે તમામ પેઢી/આસામી પર FSSA-2008 એક્ટ મુજબ નિયમાનુસાર ધોરણોસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ દ્વારા જણાવ્યું છે.
વેધર રિપોર્ટ:શહેરમાં બપોરના સમયે 32 ડિગ્રી તાપમાન સાથે બફારાનો અનુભવ
ભાવનગર આજે બપોરે મહત્તમ તાપમાનનો પારો વધીને 32 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા ઉનાળાના આરંભ જેવી ગરમીનો અનુભવ થયો હતો. તો વહેલી સવારે અને મોડી રાત્રે હળવી ઠંડક જળવાઈ રહી હતી, હાલ ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યો હોવાથી વાતાવરણ સૂકું રહે છે. આજે શહેરમાં બપોરના સમયે સામાન્ય કરતા 2.0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વધુ નોંધાયુ હતુ. શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 30.7 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ તે આજે 1.3 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 32 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 18.1 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 18.5 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતુ. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 66 ટકા હતુ તે સાંજે 53 ટકા રહ્યું હતુ. લઘુત્તમ ઉષ્ણતામાન પણ સામાન્ય કરતા 2.7 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ દિશાથી 10 કિમીની ઝડપે પવન ફૂંકાયા હતા, જે વાતાવરણમાં ફેરફાર માટે કારણભૂત હતા. ફેબ્રુઆરીની શરૂઆતથી જ મહત્તમ તાપમાન 30 ડિગ્રી કે તેથી વધુ નોંધાઈ રહ્યું હોવાથી હવે કડકડતી ઠંડીનો અનુભવ થતો નથી.
પરિવહન સુવિધામાં થશે વધારો:કોર્પો.ના સ્થાપના દિને મળશે 50 ઇલે. સિટી બસની સુવિધા
ભાવનગર કોર્પોરેશનની સ્થાપનાના પ્રારંભ બાદ ભાવનગર શહેરમાં 32 સીટી બસ ચાલતી હતી જે સમયાંતરે ઓછી થતા સીટી બસની સેવા સદંતર બંધ થઈ ગઈ હતી. પરંતુ ભાવનગરના 45 મા સ્થાપના દિવસે 14 મી ફેબ્રુઆરીએ શહેરમાં 50 નવી ઈલેક્ટ્રિક બસની સેવા 8 રૂટ પર શરૂ કરાશે. જોકે, નવી ઇલેટ્રીક બસ ઘણા ખખડતા જ રોડ પરથી પસાર થશે તેમાં જ બસના ટકાઉપણાની ખરાઈ થઈ જશે. ભાવનગર શહેરીજનોની લાંબા સમયની આતુરતા બાદ હવે ભાવનગર કોર્પોરેશન દ્વારા શહેરમાં ઈલેક્ટ્રીક બસની સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે. આગામી 14 મી ફેબ્રુઆરી ભાવનગર કોર્પોરેશનના 45 માં સ્થાપના દિને બપોરે 12:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અધેવાડા ખાતે 18.24 કરોડના ખર્ચે તૈયાર કરેલ નવ નિર્મિત ઇલેટ્રીક બસ ડેપો ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પીએમ ઈ-બસ સેવાનો પ્રારંભ કરવામાં આવશે. ભાવનગર કોર્પોરેશન માટે 100 ઈલેક્ટ્રીક બસ ફાળવવામાં આવી છે અને 17 રૂટ નક્કી કરવામાં આવ્યા છે તે પૈકી પ્રથમ તબક્કામાં 50 ઇલેક્ટ્રીક બસ દ્વારા આઠ રૂટ પર પરિવહન સેવા શરૂ કરવામાં આવશે. શહેરમાં હવે 14મી જાન્યુઆરીથી આ એસી સીટી બસમાં રૂપિયા 5ના ભાડામાં મુસાફરોને પોતાના સ્થળે જવા મળશે. કિલોમીટર મુજબ ભાડુ નક્કી કરવામાં આવ્યું છે. અને ભાડુ રૂા.5 થી વધુમાં વધુ રૂા. 20 રહેશે. આ બસમાં માસિક અને ત્રિમાસિક પાસની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં 15 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે આ ઉપરાંત પાસ ધારક આખો દિવસ કોઈપણ રૂટ પર અનલિમિટેડ ટ્રીપનો લાભ પણ મળી શકશે. ઓનલાઈન ટિકીટ એપના માધ્યમથી મળશે. સુભાષનગર, ઝાંઝરીયા રોડનો રૂટ બિસ્માર તો શેલારશા સહિતમાં ગીચતાનો પ્રશ્ન નડશેકોર્પોરેશન દ્વારા આગામી 14 મી થી શરૂ થનાર ઇલેક્ટ્રીક બસ આઠ રૂટ પર ચાલશે. જેમાં રૂટ નંબર 4માં સુભાષનગરથી શિવાજી સર્કલનો રોડ, રૂટ નંબર 6 પર સંસ્કાર મંડળથી સરદાર નગર સર્કલ, રૂટ નંબર 9 પર અધેવાડાથી ઝાંઝરીયા રોડથી બુધેલ સુધી રોડ બિસ્માર હાલતમાં છે જેથી મુશ્કેલી પડશે જ્યારે રૂટ નંબર 9માં ઈલેક્ટ્રીક બસ ગીચતા વાળા વિસ્તાર શેલારશા ઢાળ, અલકા ટોકીઝ, ચાવડી ગેટ સહિતના વિસ્તારોમાં પરિવહનમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. 50 બસનો 12 વર્ષમાં 350 કરોડ ખર્ચ થશેભાવનગર કોર્પોરેશનને કેન્દ્ર સરકારની પીએમ ઈ-બસ સેવા યોજના અંતર્ગત 100 બસ ફાળવવામાં આવી છે એ પૈકી 50 બસની સેવા શરૂ કરવામાં આવશે. જે 50 બસનો આગામી 12 વર્ષ માટે 350 કરોડ થવાનો અંદાજ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બસ સંચાલન માટે કેન્દ્ર સરકાર દ્વારા 12 વર્ષ દરમિયાન અંદાજે 103 કરોડની ગ્રાન્ટ મળવાપાત્ર છે. મુસાફરો માટે આ રહેશે ભાડાના દર
વેપારીઓ સાવધાન:ક્રેડિટ નોટ્સ પર GSTના નિયમો હવે વધુ કડક
ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) વ્યવસ્થામાં વધુ એક મહત્વપૂર્ણ સુધારો અમલમાં આવવા જઈ રહ્યો છે. કર સત્તાધિકારીઓ દ્વારા ક્રેડિટ નોટ્સના જીએસટી ટ્રીટમેન્ટને વધુ કડક બનાવવાના નિર્ણયથી વિવિધ ક્ષેત્રોના વ્યવસાયકારો પર સીધી અસર થવાની શક્યતા છે. નવા અપડેટ મુજબ, નિર્ધારિત શરતો હેઠળ જ ક્રેડિટ નોટ્સ પર જીએસટી જવાબદારી લાગુ પડશે, જે અગાઉની પ્રથાથી અલગ રહેશે. જીએસટી કાયદાના સુધારેલા અર્થઘટન અનુસાર, ક્રેડિટ નોટ જારી કરનાર સપ્લાયર્સે હવે સુધારેલા કર ધોરણોનું કડક પાલન કરવું પડશે. ખાસ કરીને, પ્રાપ્તકર્તા દ્વારા લેવામાં આવેલી વેરાશાખ ઉલટાવાઈ છે કે નહીં તેની ખાતરી કરવી જરૂરી બની રહેશે. આ પગલાનો મુખ્ય હેતુ મહેસૂલમાં થતી લીકેજને રોકવાનો અને દ્વિ-કર લાભના દાવાઓને અટકાવવાનો છે. પરંપરાગત રીતે, વેચાણમાં ઘટાડો, માલની પરતફેર અથવા મૂળ ઇન્વોઇસમાં ભૂલ જણાય ત્યારે સપ્લાયર દ્વારા ખરીદદારે ક્રેડિટ નોટ જારી કરવામાં આવતી હતી અને તે મુજબ કરપાત્ર મૂલ્યમાં સુધારો થતો હતો. પરંતુ તાજેતરના જીએસટી કાઉન્સિલના સુધારાઓ બાદ, જો પ્રાપ્તકર્તાએ વેરાશાખ રિવર્સ ન કરી હોય તો પણ સપ્લાયરને ક્રેડિટ નોટ પર જીએસટી જવાબદારી વહન કરવાની ફરજ પડી શકે છે. અગાઉ આ જોગવાઈ કડક રીતે અમલમાં નહોતી. ઉદ્યોગ સંસ્થાઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણય પારદર્શિતા વધારશે અને ટેક્સ ક્રેડિટના દુરુપયોગને અટકાવશે. બીજી તરફ, કેટલાક ઉદ્યોગકારોનું કહેવું છે કે નવી જોગવાઈઓને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગો માટે પાલનનો બોજ વધશે. ઘણા વ્યવસાયકારો પોતાની એકાઉન્ટિંગ સિસ્ટમમાં જરૂરી ફેરફાર કરવા અને કર સલાહકારોની મદદ લેવા લાગ્યા છે, જેથી ક્રેડિટ નોટ્સ પર જીએસટીનો યોગ્ય અમલ કરી શકાય અને સંભવિત દંડથી બચી શકાય. આ બદલાવોને લઈને કરદાતાઓમાં ચર્ચા તેજ બની છે અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) પાસેથી સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવાની માંગ ઉઠી છે. સત્તાવાળાઓનો દાવો છે કે સુધારેલી પ્રથા જીએસટી આવકમાં વૃદ્ધિ લાવશે અને ઉદ્યોગોમાં પારદર્શક તથા વાજબી પાલનને પ્રોત્સાહન આપશે. ભાસ્કર એક્સપર્ટસરકારની સુસંગત વ્યૂહરચના છેક્રેડિટ નોટના જીએસટી ટ્રીટમેન્ટને કડક બનાવવાના નિર્ણયની આ ગોઠવણ સરકારની પરોક્ષ કર પ્રણાલીને મજબૂત કરવા અને જીએસટી ક્રેડિટ અને જવાબદારીઓના સચોટ રિપોર્ટિંગને લાગુ કરવા માટેની વ્યાપક વ્યૂહરચના સાથે સુસંગત છે. - ભરતભાઈ શેઠ, વરીષ્ઠ ટેક્સ કન્સ્લટન્ટ
સફળ સારવાર:ટ્રાયજેમિનલ ન્યુરાલજીયાથી પીડિત વૃદ્ધાની સફળ સારવાર
વિશ્વમાં આશરે 7000થી વધુ દુર્લભ રોગો પૈકીના એક તેમજ સ્યુસાઇડ ડિસિઝ તરીકે ઓળખાતો ટ્રાયજેમિનલ ન્યુરાલજીયા અત્યંત પીડાદાયક રોગ છે. ટ્રાયજેમિનલ ન્યુરાલજીયા રોગથી પીડિત 85 વર્ષિય વૃદ્ધ મહિલા દર્દી છેલ્લા ઘણા મહિનાઓથી ચહેરાના એક ભાગમાં વીજળીના ઝટકા જેવો તીવ્ર દુખાવો અનુભવતી હતી. ખાવા, બોલવા, દાંત સાફ કરવા કે શહેરના ભાગે હળવો સ્પર્શ થવાથી પણ અસહ્ય પીડા અનુભવતી વૃદ્ધ મહિલા દર્દીનું ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન સેન્ટરમાં રેડિયો ફ્રિક્વન્સી એબ્લેશન પદ્ધતિથી સફળ નિદાન કરાયું છે. ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન સેન્ટરના પેઇન અને સ્પાઇન ફિઝિશિયન નિષ્ણાત ડો.હેતલ લીંબાણીએ વૃદ્ધ મહિલા દર્દીની વિગતવાર તપાસ અને નિદાન કર્યા બાદ રેડિયો ફ્રિક્વન્સી એબ્લેશન સારવાર પસંદ કરી હતી. આ મિનિમલી ઇનવેસિવ પદ્ધતિમાં લાઈવ એક્સરે માર્ગદર્શન હેઠળ કોઈ પણ પ્રકારની કાપકૂપ કે મગજ ખોલ્યા વગર જ ખાસ સાધન દ્વારા ટ્રાઈજેમિનલ નસ આજુબાજુ ઉચ્ચ ફ્રિક્વન્સીના તરંગો આપવામાં આવે છે. જેના કારણે દુખાવાના સંકેતો મગજ સુધી ન પહોંચે. દર્દીને લોકલ એનેસ્થેશિયા (બેભાન કર્યા વગર જ) હેઠળ કરાયેલી સારવાર સફળતાપૂર્વક પૂર્ણ થતા દુખાવામાં ઘટાડો અનુભવાયો હતો. ભાસ્કર નોલેજરેડિયો ફ્રિકવન્સી એબલેશન પદ્ધતિ શું છે ?ટ્રાયજેમિનલ ન્યુરાલજીઆ માટેની આ અદ્યતન પધ્ધતિ છે. પેઈન સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર દ્વારા આ પધ્ધતિમાં ઇન્જેકશન વડે સારવાર આપવામાં આવે છે. ગાલની નજીક ચામડીનો ભાગ બહેરો કરી રેડિયો ફ્રિકવન્સીની સોય ટ્રાયજેમિનલ નર્વ સુધી લઇ જવામાં આવે છે. એકદમ ચોકસાઇ જળવાય તે માટે સીટી સ્કેન મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. એક વખત સોય ચોક્કસ જગ્યાએ મુકાય પછી ત્યાં રેડિયો ફ્રિકવન્સીનો કરંટ આપવામાં આવે છે. અદ્યતન મશીનો વડે આ સારવાર 30 થી 40 મિનિટમાં પૂર્ણ થઇ જાય છે અને દર્દી તુરંત જ દર્દ મુક્ત થઇ જાય છે. આ પ્રોસીજરમાં જે ભાગની નસ દબાતી હોય તે ભાગનેજ સારવાર આપવામાં આવે છે તેથી બીજા ભાગને કોઈ અસર થતી નથી. ઘણી વખત આ સારવાર પછી ત્રણેક વર્ષ પછી દુખાવો ફરી થાય તો ફરી થી સારવાર થઇ શકે છે.
વર્ગખંડને બદલે હવે શેરીઓમાં શિક્ષકો જોવા મળશે:શ્વાનની ગણતરી માટે શિક્ષકોને આદેશ, ભાવનગરમાં બહિષ્કાર
શિક્ષકોને મતદાર યાદી સુધારણાનું કામ ચાલે છે ત્યાં હવે શ્વાનની ગણતરી કરવા અને તેનો સર્વે કરવાની કામગીરી સરકાર દ્વારા સોંપવામાં આવી છે તેનો ભાવનગર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે અને સ્પષ્ટ જણાવાયું છે કે શિક્ષકોનું મુખ્ય કાર્ય વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ આપવાનું છે. આવા બિન શૈક્ષણિક સર્વેની જવાબદારી સોંપવાથી શૈક્ષણિક કાર્ય પર માઠી અસર પડશે અને શિક્ષણની ગુણવત્તા તળિયે જશે. આથી ભાવનગર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આ ગણતરી અને સર્વેની કામગીરીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવા નિર્ણય કર્યો છે. સમિતિના પ્રમુખ ગોવિંદભાઈ બતાડાએ વધુમાં જણાવ્યું છે કે શ્વાનની ગણતરી કરવી એ શિક્ષણ વિભાગના કાર્યક્ષેત્રમાં આવતું નથી. આ કામગીરી અન્ય સંબંધિત વિભાગો જેમ કે નગરપાલિકા કે પશુપાલન વિભાગની હોઈ શકે શાળાઓની આ કામગીરી ગણાય નહીં. રાજ્યમાં પહેલેથી જ શિક્ષકો પર વિવિધ વહીવટી અને ઓનલાઈન કામગીરીનું ભારણ વધારે પડતું છે તેમાં આવા વિચિત્ર અને અપ્રસ્તુત સર્વે ઉમેરવા તે કોઈપણ પ્રકારે ન્યાયસંગત કે તર્કસંગત નથી. આ કારણોસર ભાવનગર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ શ્વાનની ગણતરી કરવા માટે આ પરિપત્રનો અમલ ન કરવાનો અને આ સર્વેની કામગીરીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવાનો નિર્ણય કરે છે. આથી જિલ્લાના તમામ શિક્ષકો અને શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને આ રજૂઆત સરકારના ઉચ્ચ સ્તરે પહોંચાડવા ભાવનગરના ડીઇઓને રજૂઆત પણ કરવામાં આવી છે જેથી આ પરિપત્ર રદ કરવામાં આવે. પરિપત્રમાં શું આદેશ કરાયો છે ?નાયબ શિક્ષણ નિયામક દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાજ્યની તમામ સંસ્થાઓ જેવી કે હોસ્પિટલ, દવાખાના, શૈક્ષણિક સંસ્થા, બસ સ્ટેશન, રેલવે સ્ટેશનમાં કૂતરાઓની સંખ્યા અંગે સચોટ માહિતી રાખવી અનિવાર્ય છે. ત્યારે રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને આસપાસના વિસ્તારમાં રહેતા કૂતરાઓનો સર્વે કરવા આદેશ કરાયો છે. કેવા કેવા કામો શિક્ષકો પાસે કરાવાય છેશિક્ષકોને તીડ ભગાડવાનું કામ, લગ્ન સમારોહ કે અન્ય સામાજિક પ્રસંગોમાં ભોજનનો બગાડ ન થાય તે ચકાસવાનું, શૌચાલય ગણવાનું કામ, ગામમાં ઢોર પશુઓની ગણતરીનું કામ, સુજલામ-સુફલામમાં ખાડા ખોદવા સહિતના કામો કરવા અંગે શિક્ષકોને કહેવામાં આવ્યું છે. હવે શૈક્ષણિક સંસ્થા આસપાસ કૂતરાની ગણતરી કરવા આદેશ કરાયો છે.
ભાસ્કર બ્રેકિંગ:મહિલાના બ્લેકમેઈલિંગથી બિલ્ડર તુષાર ઘેલાણીએ આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ
શહેરના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ મહિલાના બ્લેકમેઈલિંગથી આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો હોવાનું જાણવા મળ્યું છે. 1 ફેબ્રુઆરીએ પોતાની લાઈસન્સવાળી રિવોલ્વર વડે જાતે લમણે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. બિલ્ડરના આપઘાત પાછળ શરૂઆતમાં પારિવારિક ઝઘડો હોવાનું સામે આવ્યું હતું. જો કે હવે આ ચર્ચાસ્પદ આત્મહત્યા કેસમાં એક મહિલાએ તેમને ફસાવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તુષાર ઘેલાણીના પરિવારજનો તેમની ઉત્તરક્રિયાની વિધિમાં વ્યસ્ત છે. ઉત્તરક્રિયા વિધિ પૂર્ણ થયા પછી પોલીસ બિલ્ડરના પરિવારજનોનાં નિવેદનો લઈને આત્મહત્યાની દુષ્પેરણાનો ગુનો નોંધવા માટે તજવીજ કરે તેવી શક્યતા છે. બિલ્ડર તુષાર ઘેલાણીની દીકરીના 5 ફેબ્રુઆરીએ લગ્ન થવાના હતા. જો કે, તે પહેલાં જ તુષાર ઘેલાણીએ 1 ફેબુઆરીએ પોતાની લાઈસન્સવાળી રિવોલ્વરથી લમણામાં ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં તેમના પરિવારજનો સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં 5 દિવસની સારવાર બાદ તુષાર ઘેલાણીનું મૃત્યુ થયું હતું. જે દિવસે દીકરીના લગ્ન થવાના હતા તે જ દિવસે લગ્નને બદલે ઘરેથી પિતાની અર્થી નીકળી હતી. આ ચકચારિત કેસમાં હાલ સુધી તુષાર ઘેલાણીએ આપઘાત શા માટે કર્યો તે અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું ન હતું. જો કે, પોલીસ તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં એક મહિલા તુષાર ઘેલાણીને બ્લેકમેલિંગ કરતી હોવાની વાત સામે આવી રહી છે. મહિલાએ બિલ્ડર પાસેથી દુકાનથી માંડીને અમુક મિલકતો પણ પડાવી હોવાનું મનાય છે. તુષાર ઘેલાણી આ મહિલાથી છુટકારો મેળવવા માંગતા હતા, પરંતુ મહિલા પીછો છોડતી ન હતી. વળી, દીકરીના લગ્નમાં આ મહિલાએ હોબાળો કરવાની પણ ધમકી આપી હતી. આથી તુષાર ઘેલાણીએ બદનામી થવાના ડરને કારણે આપઘાત કર્યો હોય તેવી માહિતી તપાસમાં મળી હતી. 2-3 દિવસમાં ગુનો દાખલ થઈ શકેઆ કેસમાં હાલમાં પોલીસ તુષાર ઘેલાણીના પરિજનોના નિવેદનોની રાહ જોઈ રહી છે. આગામી 2-3 દિવસમાં આ મામલે ગુનો દાખલ થાય તેવી પોલીસે શક્યતા વ્યક્ત કરી હતી. અત્રે, ઉલ્લેખનીય છે કે, તુષાર ઘેલાણી આ મહિલાનો પીછો છોડવા માંગતા હતા પણ મહિલા તેમને મચક આપતી ન હતી.
કોંગ્રેસમાં ભડકો થયો:પાલિકાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના ફિરોઝ મલેક, કલ્પેશ બારોટ આપમાં જોડાયા
સુરત પાલિકાની આગામી ચૂંટણીઓ પૂર્વે આજે સુરત કોંગ્રેસના અનેક દિગ્ગજ અને પાયાના કાર્યકરોએ સામુહિક રીતે આમ આદમી પાર્ટીનું દામન થામી લેતા કોંગ્રેસમાં ભડકો થયો છે. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની હાજરીમાં સામાજિક કાર્યકર ફિરોઝ મલેક, પ્રવક્તા કલ્પેશ બારોટ સહિતના નેતાઓએ વિધિવત રીતે આપનો ખેસ ધારણ કર્યો હતો. આપે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપે તમામ સંસ્થાઓને ગુલામ બનાવી દીધી છે. આ તાનાશાહી સામે લડવા માટે આજે અનેક અનુભવી નેતાઓ આપમાં જોડાઈ રહ્યા છે. ફિરોઝ મલેક જેવા સામાજિક આગેવાન, જેમણે કોરોના કાળમાં એકતા ટ્રસ્ટ દ્વારા અભૂતપૂર્વ સેવા આપી હતી, તેમનું જોડાણ પાર્ટી માટે ગૌરવની વાત છે. આ ઉપરાંત કિરીટ વાઘેલા, સલીમ ઘડિયાળી, આરીફ શાહ અને મહિલા મોરચાના મીરાબેન બાવીસકર આપમાં જોડાયા છે.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર સંસદમાં ભાજપ દ્વારા લાવવામાં આવેલા એવા પ્રસ્તાવ સાથે જોડાયેલા રહ્યા, જેમાં રાહુલ ગાંધીના આજીવન ચૂંટણી લડવા પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. બીજા મોટા સમાચાર બાંગ્લાદેશ ચૂંટણીના પરિણામો સાથે જોડાયેલા રહ્યા. અહીં BNP (બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી) એ બહુમતીનો આંકડો વટાવી દીધો છે. હવે તારિક રહેમાનનું આગામી PM બનવું નક્કી છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવા પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) ‘સેવા તીર્થ’માં શિફ્ટ થશે. તેઓ ‘સેવા તીર્થ’ બિલ્ડિંગ કોમ્પ્લેક્સના નામનું અનાવરણ કરશે. 2. નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારની સ્પેશિયલ કેબિનેટ મીટિંગ યોજાશે. જેમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. 3. NEET PG 2025-26ના ક્વોલિફાઇંગ કટ-ઓફ ઘટાડવાના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કાલના મોટા સમાચારો 1. રાહુલ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ આવશે નહીં:ભાજપના સાંસદે રાહુલનું સભ્યપદ રદ કરવા માટે નોટિસ આપી, કહ્યું- તે ગેરમાર્ગે દોરી રહ્યા છે BJP સાંસદ નિશિકાંત દુબેએ આજે લોકસભામાં રાહુલ ગાંધી વિરુદ્ધ એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમણે રાહુલ પર દેશને ગેરમાર્ગે દોરવાના આરોપ લગાવ્યા છે. દુબેએ રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરવા અને આજીવન ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર રાહુલ સામે વિશેષાધિકાર ભંગની નોટિસ લાવશે નહીં. પ્રિયંકા ગાંધીએ જવાબ આપ્યો, મોદીજીની છાતી 56 ઇંચ માપવામાં આવી હતી. તેમની સામે પણ એક પ્રસ્તાવ લાવવો જોઈએ. વાંચો સંપૂર્ણ સમાચાર 2. બાંગ્લાદેશ ચૂંટણી- BNPને બહુમતી મળી: ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાનનું વડાપ્રધાન બનવું નિશ્ચિત બાંગ્લાદેશમાં ગુરુવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ બહુમતી માટેનો 151 સીટનો આંકડો પાર કરી લીધો છે. પૂર્વ PM ખાલિદા ઝિયાના પુત્ર અને BNP અધ્યક્ષ તારિક રહેમાનનું વડાપ્રધાન બનવું લગભગ નક્કી છે. રહેમાને બે બેઠકો પર ચૂંટણી લડી હતી અને બંને બેઠકો પર જીત હાંસલ કરી છે. બીજી તરફ, જમાત-એ-ઈસ્લામીના નેતૃત્વ હેઠળના 11 પક્ષોના ગઠબંધનને અત્યાર સુધી માત્ર 45 બેઠકો મળી છે. જમાત ચીફ શફીકુર રહેમાને ઢાકા-15 બેઠક પરથી જીત મેળવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. 114 નવા રાફેલ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી: ફ્રેન્ચ પ્રેસિડેન્ટ મેક્રોન ભારત આવવા પર સોદો થઈ શકે છે; 3.25 લાખ કરોડની ડિફેન્સ ડીલ ભારતના DAC (Defence Acquisition Council)એ ગુરુવારે ફ્રાન્સ પાસેથી 114 રાફેલ ફાઇટર જેટ ખરીદવાની ડીલને મંજૂરી આપી દીધી. તેમજ અમેરિકા પાસેથી 6 P-8I એરક્રાફ્ટ ખરીદવાના પ્રસ્તાવને પણ લીલી ઝંડી મળી ગઈ. રાફેલ ડીલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના 17-20 ફેબ્રુઆરીના ત્રણ દિવસીય ભારત પ્રવાસ દરમિયાન પૂર્ણ થઈ શકે છે. ડીલ પૂર્ણ થતાં વાયુસેના પાસે લગભગ 150 રાફેલ જેટ થઈ જશે. તેમજ નૌકાદળ 26 કેરિયર-કમ્પેટિબલ રાફેલ વિમાનનો સમાવેશ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી DACમાં રાફેલ માટે 3.25 લાખ કરોડ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસ્તાવ હવે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) પાસે સ્વીકૃતિ માટે મોકલવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. કાનપુર લેમ્બોર્ગિની કાંડ: અબજોપતિનો પુત્ર 7 કલાકમાં છૂટ્યો:પોલીસ રિમાન્ડનું કારણ જણાવી શકી નહીં, ઘટનાના 4 દિવસ પછી ધરપકડ કરી હતી કાનપુરમાં પૂર ઝડપવાળી લેમ્બોર્ગિનીથી 6 લોકોને ટક્કર મારનાર અબજોપતિ વેપારીનો દીકરો 7 કલાકમાં જ મુક્ત થઈ ગયો. આરોપીના વકીલ અનંત શર્માએ જણાવ્યું કે પોલીસે કોર્ટમાં 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જજે પૂછ્યું કે રિમાન્ડ શા માટે જોઈએ, જ્યારે બધી કલમો જામીનપાત્ર છે? આના પર ઇન્વેસ્ટિગેશન ઓફિસર કોઈ નક્કર જવાબ આપી શક્યા નહીં. આના કારણે કોર્ટે રિમાન્ડની અરજી ફગાવી દીધી. પછી 20 હજાર રૂપિયાનો જામીન બોન્ડ ભર્યા બાદ પોલીસે તેને છોડી દીધો. પોલીસે શિવમ મિશ્રાને ગુરુવારે સવારે 8 વાગ્યે ઘરની સામેથી ધરપકડ કરી હતી. પોલીસે દાવો કર્યો હતો કે શિવમ તપાસમાં સહયોગ નથી કરી રહ્યો. ગુરુવારે માહિતી મળી કે આરોપી એમ્બ્યુલન્સથી ભાગી રહ્યો છે. પોતાને છુપાવી રાખવાના આધારે તેની ધરપકડ કરવામાં આવી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ‘ઘૂસખોર પંડત’ નામ બદલો નહીં તો રિલીઝ ભૂલી જાવ':મનોજ બાજપેયીની ફિલ્મના ટાઈટલ પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ, નીરજ પાંડે સહિત કેન્દ્ર-સેન્સર બોર્ડને પણ નોટિસ નેટફ્લિક્સ પર રિલીઝ થનારી ફિલ્મ 'ઘૂસખોર પંડત' વિવાદોમાં સપડાઈ છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે આ ફિલ્મના ટાઈટલ સામે સખત વાંધો ઉઠાવતાં ફિલ્મ-નિર્માતા નીરજ પાંડે, કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ને નોટિસ ફટકારી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ફિલ્મનું નામ નહીં બદલવામાં આવે, તો તેની રિલીઝ પર રોક લગાવી દેવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. NRIના બેંક લોકરમાંથી 45 તોલા દાગીના ગાયબ!:18 તારીખે દીકરીના લગ્ન હોય વડોદરાની કોસમોસ બેંકના લોકરમાંથી દાગીના લેવા ગયા હતા, અન્ય ખાતેદારો લોકર ચેક કરવા પહોંચ્યા અમેરિકામાં રહેતા અને વડોદરા દીકરીના લગ્ન માટે આવેલા એક NRI પરિવારે કોસમોસ બેંકના લોકરમાં રાખેલા 45 તોલા સોનાના દાગીના ગુમ થયા હોવાની ફરિયાદ કરી છે. ખાતેદારનું માનીએ તો, 2024માં તેઓએ સોના અને ચાંદીના દાગીના લોકરમાં મૂક્યા હતા. જેમાં આજે ચેક કરતા ફક્ત ચાંદીના દાગીના જ મળ્યા છે. જે સોનાના દાગીના, લગડી અને સિક્કા હતા તે ગાયબ છે. આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ બેંક લોકરમાં દાગીના ચોરી થયાની વાત ફેલાતા અન્ય ખાતા ધારકો પણ પોતાના લોકર ચેક કરવા બેંક પર પહોંચ્યા હતા. આ મામલે તપાસ ચાલી રહી હોય બેંકના બ્રાન્ચ મેનેજરે ટીપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 7. બીજા દિવસે ભવનાથમાં મોટા પ્રમાણમાં ભાવિકો ઉમટ્યાં:રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન માટે સાધુઓએ ધૂણી ધખાવી, ગિરનારી તળેટીમાં ‘હર હર મહાદેવ’નો નાદ ગુંજ્યો ગિરનારની ગોદમાં બિરાજમાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આજે મેળાના બીજા દિવસે પણ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. સમગ્ર દેશ-વિદેશમાંથી આવેલા સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓના કારણે ભવનાથ તળેટી અત્યારે 'શિવમય' બની ગઈ છે. ગિરનારના પથ્થરે પથ્થરમાં જાણે મહાદેવનો વાસ હોય તેવો અનુભવ ભાવિકો કરી રહ્યા છે. ભારતી આશ્રમના મહંત અને મહામંડલેશ્વર 1008 શ્રી હરિહરાનંદ ભારતી બાપુએ મેળાના બીજા દિવસના માહોલ અંગે જણાવ્યું હતું કે, આજે મેળાનો બીજો દિવસ છે અને ભવનાથ તળેટીમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. આમ તો આખું વર્ષ આ ક્ષેત્ર શિવમય હોય છે, પરંતુ શિવરાત્રીના દિવસોમાં અહીંનો આનંદ અલૌકિક હોય છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : UNનો દાવો- દિલ્હી બ્લાસ્ટની જવાબદારી જૈશે લીધી:હુમલા માટે મહિલા આતંકવાદીઓની ભરતી કરી; રિપોર્ટમાં પહેલગામ હુમલાનો પણ ઉલ્લેખ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : આરોપ- ઇઝરાયલે ગાઝામાં પ્રતિબંધિત વેક્યૂમ બોમ્બ ફેંક્યા:એનાથી તાપમાન 3,500 ડિગ્રી પર પહોંચ્યું, હજારો લોકો વરાળ બનીને ગાયબ થઈ ગયા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : બેંગલુરુમાં એન્જિનિયરે ચાકુ મારીને માતા-પિતાની હત્યા કરી:સ્ટાર્ટઅપ માટે પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો; પિતા નિવૃત્ત નેવી ઓફિસર, માતા ડેન્ટિસ્ટ હતી વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : સૂટબૂટમાં સાંસદોની ધબધબાટી, VIDEO:તુર્કીની સંસદમાં જ એકબીજા પર તૂટી પડ્યા, નવા ન્યાયમંત્રીને શપથ લેતાં રોક્યા ને બબાલ થઈ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ચાંદી આજે ₹5,835 ઘટી, કિંમત ₹2.61 લાખ પ્રતિ કિલો થઈ:સોનું ₹1,175 ઘટીને ₹1.56 લાખ પર આવ્યું, જુઓ તમારા શહેરમાં સોનાનો ભાવ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : શ્રીલંકાની બીજી સૌથી મોટી જીત:ઓમાનને 105 રનથી હરાવ્યું, મેન્ડિસ, રત્નાયકે અને શનાકાની ફિફ્ટી; ચમીરા-થિક્સાનાને 2-2 વિકેટ મળી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : આજે વિજયા એકાદશી:અવરોધો દૂર કરવાની કામનાથી કરવામાં આવે છે વ્રત, જાણો કયા-કયા શુભ કાર્યો કરી શકાય વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ મુંબઈમાં તૈયાર થયો ‘મ્યુઝિકલ રોડ’ જાપાન અને અમેરિકાની જેમ હવે ભારતના મુંબઈમાં પણ પહેલો 'મ્યુઝિકલ રોડ' બનીને તૈયાર છે. નરીમન પોઈન્ટથી વરલી સુધી જનારા આ રસ્તા પરથી પસાર થતી વખતે ‘જય હો’ ની ધૂન સંભળાય છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. બોલિવૂડ ક્રાઇમ ફાઇલ્સ : હસીનાની જાળ અને ગેંગસ્ટરનો માસ્ટરપ્લાન!:બાથરૂમમાં લોહીથી લથપથ લાશ છોડીને હત્યારાઓ ભાગ્યા, બોલિવૂડ એક્ટરના પિતાની હત્યાનું રહસ્ય ખૂલતાં પોલીસ ચોંકી 2. બાંગ્લાદેશથી ભાસ્કર 25 વર્ષ પછી BNPનાં સત્તામાં આવવાનાં એંધાણ, પરંતુ બહુમતી નહીં:કટ્ટરપંથી જમાત પણ બહુ પાછળ નથી; હિન્દુ મતો વિના સરકાર નહીં બને 3. બ્લેકબોર્ડ: માની લાશ સાથે ત્રણ દિવસ સૂતો રહ્યો દીકરો:હાથ-પગ ને ચહેરો કીડીઓ ખાઈ ગઈ; હિમાલયનાં ભૂતિયા ગામડાંની કહાની 4. જેલ હવે 'ક્રિમિનલ યુનિવર્સિટી' નહીં બને:અમદાવાદ સેન્ટ્રલ જેલની નવી પહેલ, યુવા કેદીઓ માટે સ્પેશિયલ પ્લાન તૈયાર 5. તેલ લગાવવું વાળ માટે વરદાન કે શાપ?:ખોડો થવા પાછળ ઓઇલિંગ મોટું કારણ; ડર્મેટોલોજિસ્ટ પાસેથી જાણો તેલ નાખવાની સાચી રીત, હેર પ્રોટેક્શનની 12 ટિપ્સ 6. આજનું એક્સપ્લેનર:રાષ્ટ્રગાન પહેલાં આખું વંદે માતરમ્ નહીં ગાઓ તો શું થશે? નવા નિયમોની સંપૂર્ણ કહાની અને વિવાદોનું કારણ કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ:વડીલોના આશીર્વાદથી વૃષભ રાશિની આર્થિક સ્થિતિ સુધરશે, કુંભ જાતકોને ભાઈઓ સાથે વિવાદ થવાની શક્યતા (સંપૂર્ણ રાશિફળ વાંચો)
સિદ્ધિ:CMA ઇન્ટરમીડિયેટમાં RCIના સ્ટુડન્સની સિદ્ધિ
CMA ઇન્ટરમીડિયેટ પરીક્ષાના પરિણામોમાં રવિ છાવછરિયા ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. સુરતમાંથી પ્રાપ્ત થયેલા 14 ઓલ ઇન્ડિયા રેન્કમાંથી 9 રેન્ક ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. દીપ ગજેરા AIR 5 સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમે, લોકેશ પાટીલ AIR 6 સાથે ગુજરાતમાં બીજા ક્રમે, જીનલ કોઠારી AIR 13 સાથે સુરતમાં ત્રીજા ક્રમે, ભાવિન વોરા AIR 20 સાથે સુરતમાં ચોથા ક્રમ સાથે રેન્ક હોલ્ડર્સ રહ્યા છે. જ્યારે વિભૂતિ અધવે AIR 39, ધવલ શિયાળે AIR 40, શ્યામ લાહોટીએ AIR 40, સૌરભ પુરોહિતે AIR 46, વિનાયક લુહારે AIR 48 રેન્ક પ્રાપ્ત કર્યો છે. દેશમાં બંને ગ્રુપનું કુલ પાસિંગ માત્ર 22 ટકા છે, જ્યારે સંસ્થામાંથી 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓએ બંને ગ્રુપ પ્રથમ પ્રયત્નમાં પાસ કર્યા છે.
હાઉસ મેર્કીંગ ઇનોવેશન:15થી 20 દિવસમાં તૈયાર થાય છે ઈકોફ્રેન્ડલી હોમ
સુરતના શ્રીકાંત શાહે શાર્ક ટેન્કમાં હાઉસ મેર્કીંગ ઇનોવેશન રજુ કર્યા હતા. તેઓ અમેરિકાની પર્ડ્યુ યુનિવર્સિટીથી સિવિલ એન્જિનિયરિંગ થયા છે અને ત્યાંની ફોર્ચ્યુન 500માં સામેલ કંપનીઓમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે ઘણા વર્ષ કામ કર્યું છે. પશ્ચિમી દેશોમાં ઈમારતો અને રહેણાંક પ્રોજેક્ટ્સમાં ઈંટો અને સિમેન્ટના બદલે ફેક્ટરીમાં પહેલેથી જ તૈયાર લોખંડના માળખા એટલે કે પ્રી-ફેબ્રિકેટેડ અને મોડ્યુલર સ્ટ્રક્ચર્સનો ઉપયોગ થાય છે. જે સમય અને નાણાની બચત કરે છે. તેમણે આ ટેકનોલોજીથી ભારતમાં ઈમારતો બનાવવાનું નક્કી કર્યું છે. ઘર માટે અંદાજીત 18 લાખનો ખર્ચ થાયએક ઘરને બનાવતા અંદાજીત રૂ.18 લાખનો ખર્ચ થાય છે. અત્યાર સુધીમાં તેમને હોટલ સ્યુટ્સ, લક્ઝરી ફાર્મહાઉસ, ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ્સ અને આંગણવાડી કેન્દ્રો જેવા વિવિધ 220થી વધુ પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે. તેઓ વાર્ષિક 25થી 30 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરી રહ્યા છે. મજબુત ગેલ વેક્યુમ મટીરીયલને 100 % રિસાયકલ કરી શકાય છેપ્રોજેક્ટમાં ગેલ વેક્યુમનો ઉપયોગ કરવામાં આવે છે. જે ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ અને એલ્યુમિનિયમનું મિશ્રણ હોવાથી વજનમાં હળવા હોવા સાથે લોખંડ જેવી મજબૂતી ધરાવે છે. તેમજ સૌથી મહત્વની બાબત એ છે કે તે સંપૂર્ણપણે એન્ટી-કોરોસિવ છે, જે તેના લાંબા આયુષ્યની ખાતરી આપે છે. આ ઘર ભારતના દરેક ભૌગોલિક વાતાવરણમાં માટે પરફેક્ટ છે. તેની દિવાલોમાં ખાસ કોમ્પોઝિટ લેયર્સ અને ઇન-કેવિટી ઇન્સ્યુલેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જે ઘરની અંદરના તાપમાનને નિયંત્રિત રાખે છે અને બહારની ગરમી કે ઠંડીની અસર અંદર થવા દેતું નથી. પર્યાવરણીય સુરક્ષા અને સસ્ટેનેબિલિટીને ધ્યાનમાં રાખીને આ બાંધકામ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં બાંધકામ દરમિયાન પાણીનો વપરાશ ખુબ ઓછો થાય છે અને અને તેમાં વપરાયેલા સ્ટીલને 100 ટકા રિસાયકલ કરી શકાય છે. ઘર, હોટલ કે ઓફિસનું નિર્માણ ઈન-હાઉસ ફેક્ટરીમાં થાય છેતેમણે 2010માં સુરત ખાતે અપરેરબિલ્ટ કંપનીની સ્થાપના કરી હતી. જેની વિશેષતા એ છે કે તે ઓફ-સાઇટ કન્સ્ટ્રક્શન પદ્ધતિનો ઉપયોગ કરે છે. જેમાં ઘર, હોટલ કે ઓફિસનું સંપૂર્ણ નિર્માણ કાર્ય સ્થળ પર કરવાને બદલે કંપનીની અત્યાધુનિક ઈન-હાઉસ ફેક્ટરીમાં કરવામાં આવે છે. જેના કારણે જે બાંધકામ પરંપરાગત રીતે મહિનાઓ કે વર્ષો સુધી ચાલતું હોય છે તે આધુનિક મશીનરીની મદદથી માત્ર 15 થી 20 દિવસના ટૂંકા ગાળામાં સંપૂર્ણ તૈયાર કરી દેવામાં આવે છે. કંપની ડિઝાઇનથી લઈને મેન્યુફેક્ચરિંગ અને નિર્માણ સુધીની તમામ સેવાઓ પૂરી પાડે છે.
પાણીપુરીવાળાએ રિક્ષાનો પીછો કરી ઠગોને પકડ્યા:બેંકમાં કાગળની ગડ્ડી આપી 65 હજાર પડાવ્યા, ટોળકી ઝડપાઇ
કતારગામ GIDCની બેંક ઓફ બરોડામાં પૈસા ભરવા માટે ગયેલા પાણીપુરીવાળાને કાગળની ગડ્ડી પકડાવી 65 હજાર લઇ ભાગતા ગડ્ડી ગેંગને પાણીપુરીવાળાએ જ પકડી પાડી હતી. પાણીપુરી વેચતો કતારગામનો 23 વર્ષીય દિપક બઘેલ ભોપાલમાં અભ્યાસ કરતા ભાઇને ફી મોકલવા 11મી ફેબ્રુઆરી એક વર્ષના ભાણેજ સાથે કતારગામ GIDCમાં બેંક ઓફ બરોડામાં ગયો હતો. ત્યારે ઠગ કમલેશ તિવારી (જોલવાગામ) આવી દિપકને ફોર્મ ભરી આપવા કહ્યું હતું. ભાણેજ રડતો હોવાથી તેણે ઠગને ફોર્મ ભરવા આપ્યું હતું.ત્યારે ઠગ અભિષેક યાદવે આવી કમલેશને પોતાના 2 લાખ બેંકમાં ભરી આપવાનું કહ્યું હતું. દિપકને બેંકની બહાર લઇ ગયા હતા.અભિષેકે રૂમાલમાં બાંધેલા બે બંડલ કમલેશને આપ્યા હતા. કમલેશે દિપકને વાતોમાં ભોળવી ‘તેની પાસેથી 65 હજાર લઇને તેના બદલે રૂમાલમાં બાંધેલુ બંડલ આપી બેંકમાં ભરી આવવા કહ્યું હતું. દિપકે રૂમાલ ખોલતા 500ની એક નોટની નીચે કાગળની થપ્પી હતી. બંને ગઠિયા રિક્ષામાં ભાગી ગયા હતા. દિપકે બાઇકથી રિક્ષાનો પીછો કર્યો હતો.આ દરમિયાનમાં લોકો પણ આવી ગયા હતા. બંને ઠગ અને રિક્ષા ચાલકને પકડી પાડી મારમાર્યો હતો. દરમિયાનમાં પોલીસ આવી જતા પોલીસને ત્રણેયને પોલીસને સોંપી દીધા હતા. ‘મુંબઇથી શેઠના ઘરેથી રૂપિયા ચોરી લાવ્યો છું’અભિષેક બે રૂમાલમાં કાગળની થપ્પી લાવ્યો હતો અને મુંબઇમાં શેઠના ઘરેથી ચોરીને લાવ્યો હોવાનું કહ્યું હતું. આ પૈસા બેંકમાં ભરવા છે પણ મને મોડુ થાય છે એમ કહીને રૂ.20 હજાર કમિશન આપવાની વાત કરી દિપકને ફસાવવાની કોશિશ કરી હતી.
સિલિન્ડર ફાટ્યો:દાગીના પીગળાવવાનું કામ ચાલી રહ્યું હતું ને સિલિન્ડર ફાટ્યો, જાનહાનિ ટળી
રૂધનાથપુરા ચોથીયા શેરીમાં સોના ચાંદીના દાગીના બનાવવાના કારખાનામાં ગુરૂવારે બપોરે કારીગરો કામ કરી રહ્યા હતા. ત્યારે સોના ચાંદી પીગળાવવા ઉપયોગમાં લેવાતા બ્લુ ફ્લેમ ગેસના સિલિન્ડરમાંબ્લાસ્ટ થયો હતો. સિલિન્ડરમાંથી પ્રેશર સાથે ફેકાયેલા ગેસથી કારખાનાના બારી બારણાના કાચનો ભુક્કો બોલી ગયો હતો. ધડાકાના અવાજથી ભાગદોડ મચી ગઈ હતી. કોઇકે જાણ કરતાં ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે આ બનાવમાં સદનસીબે આગ લાગી ન હતી તેમજ કોઈને ઈજા પણ થઈ ન હતી. પરંતુ બ્લાસ્ટના કારણે આસપાસના રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
શિક્ષણ બોર્ડ અને પોલીસની ડિજિટલ વોચ હવે હાઈટેક ચોરી પર નજર રાખશે છે. ગુજરાત બોર્ડની ધોરણ-10 તેમજ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓમાં એચડી સીસીટીવી દ્વારા પેપર લીક થવાની સંભાવનાને લીધે સ્કૂલોને પરીક્ષા સમયે વાઈફાઈ બંધ રાખવા આદેશ કરાયો છે. આટલું જ નહીં, પરીક્ષાનું પરિણામ ન આવે ત્યાં સુધી પ્રશ્નપત્રોના વિતરણથી માંડીને ઉત્તરવહી તપાસવા સુધીની તમામ કામગીરીનું રેકોર્ડિંગ સુરક્ષિત રીતે સાચવવું જ પડશે. પરીક્ષામાં સીસીટીવીના કડક મોનિટરિંગની સાથે હવે રાજ્ય સરકારના નવા કાયદા ધ ગુજરાત પબ્લિક એક્ઝામ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) નો પણ અમલ કરાશે. જો એચડી સીસીટીવી ફૂટેજમાં કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતો પકડાશે તો તેના વિરુદ્ધ માત્ર રોજકામમાં એન્ટ્રી થશે. પરંતુ, જો કેમેરામાં વિદ્યાર્થી સિવાયની કોઈ વ્યક્તિ (શિક્ષક, ક્લાર્ક કે અન્ય) સંડોવાયેલી જણાશે તો તેમની સામે સીધી પોલીસ ફરિયાદ (FIR) નોંધાશે. જો કોઈ શિક્ષક કે ટ્યુશન સંચાલક સીસીટીવીની નજરમાં રહીને પણ પ્રશ્નપત્ર સોલ્વ કરવામાં મદદ કરતા જણાશે, તો આ કૃત્ય નવા કાયદા મુજબ ગંભીર ગુનો ગણાશે અને કડક કાર્યવાહી કરાશે. ગુજરાત જાહેર પરીક્ષા કાયદો-2023 પેપર લીકને રોકવા માટે સરકારે ‘ધ ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ’ અમલમાં લાવવામાં આવ્યો છે. ટેકનિકલ હેકિંગ રોકવા નિર્ણયડીઈઓ (DEO) કચેરીના સૂત્રો જણાવે છે કે, એચડી સીસીટીવીનું ડીવીઆર જો વાઈફાઈ સાથે કનેક્ટેડ હોય તો કોઈ પણ ટેકનિકલ ભેજાબાજો પોતાની કરામતથી તેને હેક કરી શકે છે. સીસીટીવીને ઝૂમ કરીને વિદ્યાર્થીને મળેલા પ્રશ્નપત્રનો ફોટો પાડી તેને વાયરલ જ કરી શકે તેવી ભીતિ છે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રો પર વાઈફાઈના કનેક્શન કાપી નાખવા જ પડશે.
ગોઝારો અકસ્માત સર્જાયો:બ્રિજ પર ડિવાઇડર સાથે ભટકાતા બાઇક સવાર યુવકનું મોત
કતારગામ મગન નગર ખાતે રહેતા 30 વર્ષીય સાગર જયરામ સીસનાળા ઈંડાની લારી ચલાવતા હતા. ગઈ તા.6 ફેબ્રુઆરીના રોજ તેઓ તેમના મિત્ર સંદીપ સાથે બાઈક પર નાસ્તો કરવા ગયા હતા. બંને નાસ્તો કરી પરત ફરતા હતા. ત્યારે વેડ વરીયાવ બ્રિજ પરથી પસાર થતી વખતે સાગરે બાઈક પરથી કાબુ ગુમાવતા બાઈક ડિવાઈડર સાથે ભટકાતા બંને નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં સાગર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે સંદીપને સામાન્ય ઈજા થઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત સાગરને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નોકરી ન્યુઝ:IES-ISSની 44 જગ્યામાટે 3 માર્ચ સુધી અરજી કરાશે,પરીક્ષા 19 જૂને
સંઘ લોક સેવા આયોગ (UPSC) દ્વારા ભારતીય આર્થિક સેવા (IES) અને ભારતીય આંકડાકીય સેવા (ISS)ની કુલ 44 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. અર્થશાસ્ત્ર (Economics) કે આંકડાશાસ્ત્ર (Statistics) વિષયમાં માસ્ટર્સ કરનાર યુવાનો માટે ક્લાસ-1 અધિકારી બનવાની આ શ્રેષ્ઠ તક છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો 3 માર્ચ 2026 સુધી ઓનલાઇન અરજી કરી શકશે, આઇઇએસ અને આઇએસએસની પરીક્ષાઓ આગામી 19 જૂને લેવામાં આવશે. આ પદો પર પસંદગી પામનાર ઉમેદવારને લેવલ-10 મુજબ રૂ. 56,100ના બેઝિક પે સાથે કેન્દ્રીય ધોરણ મુજબના ભથ્થાં અને સુવિધાઓ મળશે. ઉમેદવારની વય 21 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જનરલ અને OBC કેટેગરી માટે રૂ. 200 ફી રાખવામાં આવી છે, જ્યારે મહિલાઓ, SC, ST અને દિવ્યાંગ ઉમેદવારો માટે અરજી નિઃશુલ્ક છે. upsc.gov.in પર રજિસ્ટ્રેશન કરી શકાશે.
શ્વેતાંબર મુતિપૂજક જૈન સંઘમાં અલગ અલગ ચાર સંઘમાં 2027ના ચાતુર્માસ માટે ઉદ્ઘોષણા બુધવારે વેસુ ઓમકારસૂરી આરાધના ભવન ખાતે કરવામાં આવી હતી. આચાર્યએ સુરતના સંઘોની વિનંતી સ્વીકારી સુરતમાં ચાતુર્માસ કરવા માટેની અનુમતિ આપતા સમગ્ર સંઘમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જૈન સ્મુદાય માટે મહત્વની બાબત એ હતી કે સંયમપર્યાયના 48 વર્ષ પછી પ્રથમ વખત સુરતમાં રાજરત્ન સુરીશ્વરજી મહારાજ ચાતુર્માસ કરશે તેવી જાહેરાત કરવામાં આવતા તમામ સંઘો અત્યારથી આયોજન માટે તૈયાર થઈ ગયા હતા. આચાર્ય રાજરત્ન સૂરીશ્વજી મહારાજ અઠવા લાઈન્સ જૈન સંઘમાં ચાતુર્માસ કરશે તે ઉપરાંત અન્ય ત્રણ સંઘમાં પણ ઉદઘોષણા કરાઈ હતી જેમાં રશમિરત્નસૂરીશ્વરજી મહારાજ ઓમકાર સૂરી આરાધના ભવન વેસુ ખાતે, આચાર્ય હિતરત્નસુરીશ્વરજી મહારાજ ઓમકાર સૂરી આરાધના ભવન પાલ ખાતે, આચાર્ય અક્ષયરત્ન સુરીશ્વરજી મહારાજ સરેલાવાડી જૈન સંઘ ઘોડદોડ રોડ ખાતે ચાતુર્માસ કરી રહ્યા છે. તે સહિત 85 શ્રમણ શ્રમણીઓ આ સિવાયના અલગ અલગ સંઘોમાં ચાતુર્માસ કરશે. બે હજારથી વધુ શ્રાવકો માસક્ષમણ કરે તેવી સંભાવનાઅલગ અલગ સંઘના આગેવાનો ઉપરાંત 1000થી વધારે શ્રાવકોની હાજરીમાં આગામી ચાતુર્માસ માટેની જાહેરાત થઈ તેને સ્વીકારી સામુહિક રીતે જયઘોષ સાથે નિર્ણય સ્વીકારાયો હતો. શ્રાવક નિખિલ શાહે જણાવ્યું હતું કે રાજરત્નસુરીશ્વરજી જ્યાં પણ હોય ત્યાં માસક્ષમણની આરાધના અવશ્ય હોય છે. તેમના પ્રભાવથી સુરતમાં પણ ચારેય સંઘોમાં મળીને કદાચ 2000થી વધારે લોકો માસક્ષમણ- 30 દિવસના ઉપવાસ કરે તેવી સંભાવના નકારી શકાય નહીં.
ડાયમંડ પાર્કનું કરાશે નિર્માણ:જી એમ ગ્રુપ દ્વારા પલસાણામાં આધુનિક ડાયમંડ પાર્ક બનાવાશે
સુરત એક એવું શહેર જ્યાં મહેનત સપનાઓને આકાર આપે છે અને ઉદ્યોગો નવી ઓળખ બનાવે છે. આ જ ભાવનાને આગળ ધપાવતા સુરતના અગ્રણી ઇન્ડસ્ટ્રિયલ પાર્ક ડેવલપર જીએમ ગ્રુપએ જાણીતા અભિનેતા અને સુરતના ગૌરવ પ્રતિક ગાંધીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રજૂ કર્યા છે. તેઓ માત્ર એક સફળ અભિનેતા નથી, પરંતુ મહેનત, ઈમાનદારી અને આત્મવિશ્વાસનું જીવંત ઉદાહરણ છે. સુરતથી શરૂ થયેલી તેમની સફર આજે દેશ અને દુનિયામાં ઓળખ બનાવી ચૂકી છે. એ જ રીતે, જીએમ ગ્રુપ પણ સુરતમાંથી શરૂ થઈ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં વિશ્વસનીય નામ બની રહ્યું છે.આ સહયોગ કોઈ સામાન્ય સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ નથી. આ એક વિચારધારાનો મેળ છે. જ્યાં વ્યવસાયને માત્ર ઈમારતો નહીં, પરંતુ સપનાઓ સાથે જોડાય છે. જીએમ ગ્રુપનો ઉદ્દેશ એવા ઇન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવવાનો છે જ્યાં ઉદ્યોગકારોને માત્ર જગ્યા નહીં, પરંતુ વિકાસ માટેનું પૂરું ઇકોસિસ્ટમ મળે. નવી બ્રાન્ડ કેમ્પેઈન દ્વારા જીએમ ગ્રુપ એ સંદેશ આપે છે કે યોગ્ય ઇન્ડસ્ટ્રિયલ લોકેશન પસંદ કરવું સફળતાની પ્રથમ સીડી છે. સારી સુવિધાઓ, સરળ મંજૂરી પ્રક્રિયા, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લાંબા ગાળાની વૃદ્ધિ જીએમ ગ્રુપના પ્રોજેક્ટ્સને અલગ ઓળખ આપે છે.
સચિન નોટીફાઈડ કચેરી ખાતે મિટીંગ યોજાઈ:વન-ટુ-વન પ્રશ્નો રજૂ થતાં ઘણાં પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરાયો
સચિન જીઆઈડીસીના ઉદ્યોગોના વિવિધ પ્રશ્નોના યોગ્ય ઉકેલ માટે ધારાસભ્ય સંદિપ દેસાઈની અધ્યક્ષતામાં સરકારના સંલગ્ન ખાતાઓના અધિકારીઓ સાથે સચિન નોટીફાઈડ કચેરીએ સયુંક્ત બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં સચિન નોટીફાઈડ અધિકારી-પદાધિકારી અને ઉદ્યોગપતિઓ સહિત પોલીસ વિભાગના ઉચ્ચાધિકારીઓ, જીપીસીબી, ગેટકો, ડીજીવીસીએલ તથા જીઆઈડીસીના અધિકારી હાજર રહ્યાં હતાં. યોજાયેલી સયુંક્ત બેઠકમાં ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ભૂતકાળમાં કદી ન થઈ હોય એવી મિટીંગનું આયોજન સોસાયટીના પ્રમુખ-સેક્રેટરી અને નોટીફાઈડ ચેરમેન દ્વારા ઘણાં પ્રશ્નોનો નિકાલ તાત્કાલિક કરાયો હતો જ્યારે અમુક પ્રશ્નોના નિકાલ માટે રજૂઆત કરવા સમજ ઉદ્યોગકારોને અપાઈ હતી.
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલય સંસ્થા દ્વારા શહેરના 19 સેન્ટરો દ્વારા અલગ અલગ સ્થળે શિવરાત્રી મહોત્સવના આયોજનો કરવામાં આવ્યા છે. વરાછા સેન્ટર દ્વારા ઘીના શિવલિંગ બનાવવામાં આવ્યા છે. વરાછા સેન્ટરના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી તૃપ્તિબેને જણાવ્યું હતું કે શહેરના 19 સેન્ટરો દ્વારા આયોજીત મહોત્સવમાં પાંચ લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓ લાભ લેશે. મજુરા, વરાછા, રાંદેર, રામપુરા, અમરોલી, પીપલોદ,નાણાવટ સહિતના સ્થળે કાર્યક્રમો
સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ટેક્સટાઈલ મંત્રાલયે ટેક્સટાઈલ કમિટીના માધ્યમથી દેશના પસંદગીના ક્લસ્ટરોમાં ‘ટેક્સટાઈલ એક્સપોર્ટ ફેસિલિટેશન સેન્ટર (TEFC)’ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં સુરતને ટેક્નિકલ ટેક્સટાઈલ અને મેન-મેડ ફાઈબર (MMF) માટે પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવશે. એક્સપોર્ટ સ્પર્ધાત્મકતા વધારવા અને વિશ્વનાં નવા બજારોમાં પ્રવેશ સરળ બનાવવા માટે આ સેન્ટર માર્ગદર્શક ભૂમિકા ભજવશે. TEFCથી સુરતને કેટલો અને કેવી રીતે લાભ મળશે તે આ 5 પોઈન્ટથી સમજો એનાલિસિસ આ સુવિધા મળશે
હડતાળની અસર:બેંક હડતાળથી 5,000 કરોડના વ્યવહાર ખોરવાયા
આર્થિક-શ્રમ નીતિઓના વિરોધમાં દેશભરના 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયને આપેલા રાષ્ટ્રવ્યાપી હડતાળના એલાનને સુરતમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. આ હડતાળને કારણે 5,000 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનને અસર થઈ હતી. સવારથી જ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ યુનિયન અને અન્ય સંગઠનોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં કામદારો સુરત કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ હડતાળમાં માત્ર બેંક કર્મચારીઓ જ નહીં, પરંતુ LIC, રેલવે, પોસ્ટ, ઇન્કમટેક્સ, એસ.ટી., આંગણવાડી અને આશા વર્કરો પણ જોડાયા હતા.
મુસાફરોના સમય અને નાણા બંન્ને બચશે:ડુંડી સુધી સિટી બસ દોડશે, પાંડેસરાને કનેક્ટિવિટી મળી
સિટી બસ ડુંડી (જિયાવ-બુડિયા રૂટ) સુધી લંબાવવામાં આવી છે. ડુંડીના અનુપમ સિટીની સામે જિયાવ-બુડિયા રૂટ પર રૂટ 505 શરૂ કરાયો હતો. આ રૂટ અગાઉ ચીકુવાડીથી બુડિયા સુધી ચાલતો હતો. નવા રૂટથી અનુપમ સિટી અને આસપાસના વિસ્તારોને નોંધપાત્ર ફાયદો થશે. સાથે જ બમરોલી અને પાંડેસરા સાથે સીધી કનેક્ટિવિટી પણ મળશે, જેનાથી મુસાફરીમાં સમય અને પૈસા બંનેની બચત થશે. વોર્ડ 30ના કાઉન્સિલર હસમુખ નાયકા, પિયુષા પટેલ અને રીના રાજપૂત ઘણા સમયથી રૂટ એક્સટેન્શન માટે માગણી કરી રહ્યા હતા.
100 મુસાફરોના જીવ તાળવે:રનવે ટચ થતાં ધડાકાભેર અવાજ આવ્યો કાબૂ મેળવવા પાયલટે પ્લેન ફરી ઉડાવ્યું
બુધવારે મોડી રાત્રે એરપોર્ટ પર ઇન્ડિગોની કોલકાતા-સુરત ફ્લાઇટમાં રિયલ લાઇફ થ્રિલર જેવો સીન જોવા મળ્યો હતો. 140 કિમીની ઝડપ સાથે લેન્ડિંગ કરી ટચડાઉન થતાં જ પ્લેનનું ટાયર રનવે સાથે ઘસડાતાં જોરદાર અસામાન્ય અવાજ આવ્યો હતો. જો કે, પ્લેન કંટ્રોલ બહાર જાય તે પહેલાં જ પાયલટે તરત જ નિર્ણય લઈ રનવે પરથી જ પ્લેનને ફરી ફૂલ પાવર સાથે હવામાં ટેક-ઓફ કરાવી દીધું હતું. આ અચાનક થયેલા ‘પ્રિકોશનરી ગો-અરાઉન્ડ’ને કારણે પ્લેનમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે, હવામાં એક ચક્કર લગાવ્યા બાદ પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ થતાં તમામ મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો. આમ, પાયલટની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ ઘટનાને કારણે ફ્લાઇટ 20 મિનિટ મોડી પડી હતી. પાયલટ આ કારણોસર લે છે આવો નિર્ણય પ્લેન અચાનક ટેકઓફ કરે તો આટલું અચૂક કરો શું છે ‘પ્રિકોશનરી ગો-અરાઉન્ડ’?ATC સૂત્રો મુજબ, લેન્ડિંગ સમયે પાયલટને લાગે કે પ્લેન સુરક્ષિત નથી ત્યારે છેલ્લી ઘડીએ ફરી ટેકઓફ કરાવી દેવાય છે, જેને ‘ગો-અરાઉન્ડ’ કહેવાય છે. આ પ્રક્રિયા પાયલટની સજાગતા દર્શાવે છે.
વેધર રિપોર્ટ:પારો સિઝનમાં પહેલીવાર 2.8 ડિગ્રી વધી 35.8 થતાં ગરમીની અસર શરૂ
શહેરમાંથી હવે ધીમે-ધીમે શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ગરમીએ પોતાનું જોર બતાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં વાતાવરણમાં આવેલા મોટા પલટાને કારણે ગુરુવારે સુરતીઓએ આકરી ગરમીનો અનુભવ કર્યો હતો, જેમાં ગરમીનો પારો એકાએક 2.8 ડિગ્રી ઉછળીને 36 ડિગ્રીની નજીક પહોંચી જતાં બપોરના સમયે રસ્તાઓ પર લૂ જેવો અહેસાસ થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસ પણ પારો 34થી 35 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે, જેને કારણે બપોરે ગરમીની અસર યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુરુવારે શહેરનું મહત્તમ તાપમાન 35.8 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા વધુ રહ્યું હતું. જ્યારે લઘુતમ તાપમાન 19.5 ડિગ્રી જેટલું થતાં રાત્રિના સમયે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો. આમ, હાલમાં સુરતીઓ બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે. હવામાં સવારે ભેજનું પ્રમાણ 65 ટકા અને સાંજે 37 ટકા નોંધાયું હતું. આ સાથે જ ઉત્તર-પશ્ચિમ દિશાથી ફૂંકાયેલા 4 કિલોમીટરની ગતિના પવન પણ ગરમીથી રાહત આપવામાં નિષ્ફળ રહ્યા હતા. આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતાને જોતા આરોગ્ય વિભાગ દ્વારા પણ નાગરિકોને બપોરના સમયે પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાનું શરૂ કરવા માટે સલાહ આપવામાં આવી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શિયાળાની વિદાય સાથે હવે એસી અને પંખાનો વપરાશ પણ વધવાનો શરૂ થશે.
ડિજિટલ ગુજરાત:હવે રેશનકાર્ડ ધારકો માટે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી
ગુજરાત સરકારે મોટાભાગની સરકારી કામગીરી ઓનલાઇન બનાવી જાહેર વિતરણ વ્યવસ્થાના માળખામાં પણ એટીએમ શરૂ કર્યા છે ત્યારે આગામી રવિવારે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ જાહેર વિતરણ વ્યવસ્થામાં ગોલમાલ રોકવા અને કાળાબજારી અટકાવવા નવતર પ્રયોગ સાથે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ આવરી લેવાયેલા રેશનકાર્ડ ધારકો માટે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી અમલી બનાવવા જઈ રહી છે. અમદાવાદ ખાતે આગામી રવિવારે ડિજિટલ કરન્સીના લોન્ચિંગ બાદ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આ ડિજિટલ કરન્સી અમલી બનાવવામાં આવશે. જેમાં રેશનકાર્ડ ધારકો ઘઉં, ચોખા સહિતની વસ્તુઓ લેવા માટે આ કરન્સીનો ઉપયોગ કરી શકશે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થાના માળખાને ડિજિટલ બનાવવા નવતર પહેલ કરી છે જે અંતર્ગત આગામી સમયમાં રેશનકાર્ડ ધારકોના બેન્ક એકાઉન્ટ સાથે લિંક થયેલી ડિજિટલ કરન્સીનું વોલેટ આપવામાં આવશે. આ વોલેટમાં રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજની રકમ સીધી જ જમા થઇ જશે.જેથી આ રકમનો ઉપયોગ કરી રેશનકાર્ડ ધારક પોતાના વિસ્તારના સસ્તા અનાજના વિક્રેતાને ત્યાં જઈ ઘઉં, ચોખા, તુવેરદાળ કે ચણા લેવા માટે થમ્બ-ઓટીપીને બદલે ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરી પોતાના માટે સરકારે નક્કી કરેલી જણસી ખરીદી શકશે. પુરવઠા વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ ખાતે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી લોન્ચિંગ બાદ તુરંત જ સમગ્ર રાજ્યમાં આ સિસ્ટમ અમલી બનાવવામાં આવશે. ભવિષ્યમાં પુરવઠા વિભાગ યુપીઆઈ જેવા પ્લેટફોર્મને પણ ડિજિટલ કરન્સી સાથે જોડી દેશે જેથી રેશનકાર્ડ ધારકો રોકડાને બદલે સંપૂર્ણ પણે ડિજિટલ કરન્સી થકી જ રેશન મેળવી શકશે. મોબાઈલ એપથી થશે ડિજિટલ કરન્સીના વ્યવહારસેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી દરેક રેશનકાર્ડ ધારકના મોબાઈલમાં એક ખાસ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી ઉપયોગમાં લઇ શકાશે. સાથે જ જે રેશનકાર્ડ ધારક સાદો મોબાઈલ ધરાવતા હશે તેમને એસએમએસ મારફતે ડિજિટલ કરન્સી ઉપયોગ કરી શકે તેવી સવલત આપવામાં આવશે. નોંધનીય છે કે, રાજકોટ જિલ્લામાં હાલ 3,04,940 રેશનકાર્ડ ધારકો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સરકારના મફત અનાજ તેમજ રાહતદરે ખાંડ-દાળ વિતરણનો લાભ લઈ રહ્યા છે. કાળાબજાર સાથે ઓછું અનાજ આપવાની ફરિયાદ દૂર થશેરેશનકાર્ડ ધારકો માટે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી અમલી બનતા જાહેર વિતરણ વ્યવસ્થામાં હજુ પણ છાનાખૂણે ચાલી રહેલા કાળાબજારનું દૂષણ અટકશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વાજબીભાવના દુકાનદાર રેશનકાર્ડ ધારકોને તેમના હિસ્સાનું સરકારે નક્કી કરેલ રાશન કરતા પણ ઓછું રાશન આપવાની ચાલ પણ નવી સિસ્ટમથી કાબૂમાં આવશે અને રેશનકાર્ડ ધારક જેટલું અનાજ મેળવશે એટલું જ ડિજિટલ કરન્સીથી ચૂકવણું કરશે.
રાજકોટના પડધરી તાલુકામાં 10 શખ્સે સાયબર ફ્રોડ થકી થયેલી છેતરપિંડીના નાણાંની હેરફેર માટે એકાઉન્ટ ભાડે આપી ગુનો આચાર્યો હોવાની ફરિયાદના આધારે પોલીસે 10 શખ્સ સામે પડધરી પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 400 કરોડથી વધુના સાયબર ફ્રોડના નાણાં પડધરીના 10 શખ્સના ખાતામાં જમા થયા હતા. દેશના અલગ અલગ રાજ્યના 116 ગુનામાંથી મેળવેલી રકમમાંથી 16 કરોડ રકમ આ શખ્સોએ ખાતામાંથી ઉપાડી લીધી હતી. આ બનાવમાં આરોપી જય નાદપરાએ પોતાના અલગ અલગ છ અને તપાસમાં નીકળે એ અન્ય એકાઉન્ટ દ્વારા આશરે રૂપિયા 200 કરોડથી વધુ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી મેળવેલ જેમાંથી સાયબર ફ્રોડ દ્વારા મેળવેલ રકમ રૂ.14, 62,20,453 જેટલી છે. જે પૈકી અલગ અલગ એકાઉન્ટ પર 85 જેટલી ભારતભરના અલગ અલગ રાજ્યોમાંથી એન.સી.આર.પી. 1930 પોર્ટલ અરજીઓ છે. આરોપી ઋષિત રૈયાણી દ્વારા તેના મિત્ર આરોપી હર્ષિલ શાહ સાથે સંપર્ક કરાવી આ રુશિત રૈયાણીના ખાતામાં અલગ અલગ ચારથી પાંચ ટ્રાન્ઝેક્શન મારફતે સાયબર ફ્રોડ દ્વારા મેળવેલ આશરે એકાદ કરોડ જેટલા નાણાંનું કરાવડાવ્યું હતું. આમ આ ગુનામાં દરેક આરોપીઓએ અલગ અલગ સમય અને સ્થળે પૂર્વ આયોજિત કાવતરું રચી ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યના અલગ અલગ ભોગ બનનાર વ્યક્તિઓને બદદાનતથી કપટપૂર્વક લલચાવી તેઓ સાથે સાયબર ફ્રોડ દ્વારા છેતરપિંડી કે ઠગાઈ કરી નાણાં મેળવી અને આવી રીતે નાણાં મેળવનાર સાયબર અપરાધીઓ આ નાણાં શાહેદ દ્વારા છેતરપિંડી કે ઠગાઈથી મેળવેલ છે. તેવું જાણવા છતાં એકબીજા સાથે મેળાપીપણું કરી, સાયબર ફ્રોડ કરનારા આરોપીઓએ સાયબર ફ્રોડથી મેળવેલ નાણાં અલગ અલગ બેન્ક એકાઉન્ટ મારફતે ટ્રાન્ઝેક્શન કરી એમપીએમસી લાઇસન્સ ધરાવનાર આરોપીઓનો બેંક એકાઉન્ટ મારફતે અથવા અન્ય માધ્યમો દ્વારા આ નાણાંને પોતાના આર્થિક લાભ હેતુથી સુવ્યવસ્થિત રીતે આયોજનપૂર્વક મૂળ અપરાધીઓ સુધી આ નાણાં પરત ફરે તેવા હેતુથી પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરી છેતરપિંડી આચરતા પડધરી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. પોલીસે આ ગુનાના આરોપી જય નાદપરા, ઋષિત રૈયાણી, મનીષ કમાણી, પ્રવીણસિંહ પરમાર, મહેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ વાઘેલાની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. દેશના અલગ અલગ રાજ્યના 116 ગુનામાંથી મેળવેલી રકમમાંથી 16 કરોડ રકમ આ શખ્સોએ બેંક ખાતામાંથી ઉપાડી લીધી હતી ગુનામાં સંડોવાયેલા આરોપીઓના નામૉસાયબર ફ્રોડના આ ગુનામાં પોલીસ જ ફરિયાદી બની હતી. પડધરી પોલીસ મથકના પ્રકાશભાઈ વીરાભાઇ ડાંગર દ્વારા નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જય મનસુખભાઈ નાદપરા, ઋષિત તુલસીભાઈ રૈયાણી, મનીષ છગનભાઈ કમાણી, પ્રવીણસિંહ ભૂપતસિંહ પરમાર, મહેન્દ્રસિંહ કલ્યાણજી જાડેજા, આદિલ ઉદ્દીન, લાલાભાઈ ઉર્ફે યાજ્ઞિક ઝાલાવાડિયા, હર્ષિલ નિલેશભાઈ શાહ, મયૂરસિંહ મહિપતસિંહ વાઘેલા અને ભરતસિંહ પરમારના નામો ખુલ્યા છે.
મંદિરમાં ચોરીનો મામલો આવ્યો સામે:મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, સોનાના મુગટની સાથે ચાંદીના ફરાની ચોરી
રાજકોટના જામનગર રોડ પર મનહરપુર-1માં તસ્કરોએ માતાજીના મઢ(મંદિર)ના તાળાં તોડી સોનાનો મુગટ, ચાંદીના ફરા સહિત કુલ રૂ.1.16 લાખની મતા ઉસેડી ગયા હતા. આ બનાવમાં, મનહરપુર શેરી નં.1માં પંચદેવ વાળી શેરીમાં રહેતા અને અહીં આવેલા ચામુંડા માતાજીના મઢની પૂજા-સેવા કરતાં વિજય દિનેશભાઈ બાણોધરાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.08/02/2026ના સવારે પૂજા કર્યા બાદ મંદિર વ્યવસ્થિત હતું. બીજા દિવસે સવારે જ્યારે તેઓ ફરી પૂજા કરવા ગયા ત્યારે મંદિરના ગર્ભગૃહમાંથી માતાજીના આભૂષણો ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. તસ્કરો સોનાનો મુગટ આશરે 4 ગ્રામ વજન, ચાંદીના ચાર ફરા એમ કુલ રૂ.1,16,000ની માલમતા ઉસેડી ગયા હતા. ઘટના અંગે પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ભગવતીપરામાં લુખ્ખાઓનો આતંક:દારૂ પીવાના પૈસા આપવાની ના પાડનાર યુવક પર ધોકા વડે હુમલો
શહેરના ભગવતીપરામાં ધોકા-પાઈપ સાથે ધમાલ મચાવતા લુખ્ખા શખ્સોને દારૂ પીવાના પૈસા નહીં આપતા પોપટપરાના યુવક ઉપર હુમલો કર્યો હોવાનું બહાર આવતા પોલીસે ગુનો નોંધવા અને આરોપીઓને પકડી લેવા કાર્યવાહી કરી છે. પોપટપરામાં રહેતો અને કેટરિંગમાં મજૂરીકામ કરતો ઈમ્તિયાઝ અજીતભાઈ ઉકા નામનો યુવક પગપાળા તેના સસરાના ઘેર જતો હતો તે દરમિયાન ધોકા સાથે સરાજાહેર ધમાલ મચાવતા બે શખ્સે ધસી આવી તેની પાસે દારૂ પીવાના પૈસાની માંગ કરી હતી. જેથી ઈમ્તિયાઝે પૈસા આપવાનો ઈનકાર કરતા તેની ઉપર હુમલો કર્યો હતો. દરમિયાન દેકારો થતા લોકો એકઠા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતા બી-ડિવિઝન પોલીસ મથકના જમાદાર કુલદીપસિંહ સહિતના સ્ટાફે તપાસ કરી ગુનો નોંધી આરોપીઓને પકડી લેવા કાર્યવાહી કરી છે.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:વાહનમાંથી ઉતરી રોડ ક્રોસ કરતી વખતે રિક્ષાની ઠોકરે વૃદ્ધનું મોત
શહેરમાં ટ્રાફિક સમસ્યાની સાથે-સાથે જીવલેણ અકસ્માતોના બનાવો પણ અવારનવાર સર્જાતા હોય છે. ત્યારે વધુ એક બનાવમાં ત્રિકોણબાગે વાહનમાંથી ઉતરી રોડ ક્રોસ કરતા વૃદ્ધને રિક્ષાએ ઠોકરે લેતા વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે પોલીસે અકસ્માત સર્જી ફરાર રિક્ષાચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. શહેરના ગાયત્રીનગર મેઈન રોડ પર આવેલી હસનવાડી શેરી નંબર 2/3ના ખૂણે બંધ શેરીમાં રહેતા દિલીપભાઈ કનૈયાલાલ મહેતા(ઉ.વ.67) નામના વૃદ્ધ ગઈકાલે બપોરે ચારેક વાગ્યા આસપાસ વાહનમાંથી ઉતરી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવેલી રિક્ષાના ચાલકે વૃદ્ધને ઠોકરે લેતા માથા પર અને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ વૃદ્ધનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા એ-ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કે.આર.જોડિયા સહિતના સ્ટાફે દોડી જઈ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી મૃતકના પુત્રની ફરિયાદ પરથી અકસ્માત સર્જનાર રિક્ષાચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. પોલીસની તપાસમાં મૃતક નિવૃત્ત જીવન જીવતા હતા. સંતાનમાં બે પુત્ર છે. તેમજ તે બે ભાઈમાં મોટા હતા. પરિવારના મોભીના મોતથી અરેરાટી વ્યાપી જવા પામી છે.
બોટાદ કડદાકાંડ કેસમાં પોણા ચાર મહિના સુધી જેલવાસ ભોગવ્યા બાદ જામીન મુક્ત થયેલા આમ આદમી પાર્ટીના ખેડૂત સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ રાજીનામું આપ્યા બાદ રાજકોટ ખાતે પત્રકાર પરિષદને સંબોધી સ્ફોટક નિવેદન આપ્યું હતું. રાજુ કરપડાએ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ક્યારેય આમ આદમી પાર્ટીને ઊભી નહીં થવા દે તેવું જણાવ્યા બાદ કહ્યું હતું કે, પ્રદેશના નેતાઓએ મને જેલમાંથી બહાર કાઢવાને બદલે હું કેમ વધુ ફસાઈને જેલમાં રહું તેવા પ્રયાસો કર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. બોટાદ જિલ્લાના હડદળમાં કપાસના કડદા મામલે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના નેતાઓ વિરુદ્ધ કેસ દાખલ થયો હતો જેમાં સતત પોણા ચાર મહિના જેલવાસ બાદ જામીનમુક્ત થયેલા રાજુ કરપડાએ બુધવારે પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપ્યા બાદ ગુરુવારે રાજકોટ ખાતે પત્રકાર પરિષદને સંબોધી આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતાઓ પર શાબ્દિક પ્રહાર કરી સ્ફોટક વિગતો જાહેર કરી હતી. રાજુ કરપડાએ કહ્યું હતું કે, કડદાપ્રથા નાબૂદ કરવા માટે આંદોલન કરતા 68 ખેડૂત સાથે અમે પોણાચાર મહિના જેલમાં રહ્યા. 307 જેવી ગંભીર કલમો અમારા પર લગાવવામાં આવી હતી.પાર્ટીએ હાઇકોર્ટના સારામાં સારા વકીલ રાખી જામીન અપાવવામાં આવશે એવી વાતો કરી, પરંતુ અમારા એક-બે નેતા અમે જેલમાંથી ન છૂટીએ એ માટે પ્રયાસો કરતા હતા એનું દુઃખ છે. સાથે જ પ્રથમ મુદત 27 ઓક્ટોબરે હાઇકોર્ટના સારામાં સારા વકીલને બદલે નાના વકીલ દલીલ કરવા આવ્યા હતા જેથી અમને જામીન ના મળ્યા. સાથે જ આપ નેતા સોરઠિયાએ તેમના પિતા સાથે પણ યોગ્ય રીતે વાત ન કરી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. ઈટાલિયા-સોરઠિયા ભાજપની બી ટીમરાજુ કરપડાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ નથી, પરંતુ મનોજ સોરઠિયા અને ગોપાલ ઈટાલિયા ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે. ચૈતરભાઈ, હેમંતભાઈ કે ઈસુદાનભાઈ કોઈ દિવસ પાર્ટી માટે નેગેટિવ વિચાર કરતા નથી હંમેશા તેઓ પાર્ટીને આગળ લાવવા પ્રયાસ કરે છે સાથે જ ઉમેર્યુ હતું કે, હું અરવિંદ કેજરીવાલજીથી નજીક આવ્યો આ વાત ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા જોઈ શકતા ન હતા અને ત્યારથી મને પછાડી દેવાના પ્રયત્ન કરતા હતા. જે પણ પાર્ટીમાં જઈશ ત્યાં ખેડૂતો માટે કામ કરીશઆમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ હવે અન્ય કોઈ પાર્ટીમાં જોડાશો કે કેમ તે અંગેના જવાબમાં રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, હાલમાં હું કોઈ પક્ષમાં જોડાવવાનો નથી. એક વાત ચોક્કસ કહીશ કે, હું ખેડૂત નેતા છું, ખેડૂત માટે લડીશ અને આગામી દિવસોમાં અમારી ટીમ સાથે મળી ચર્ચા કરવાની સાથે ખેડૂત સંમેલન પણ બોલાવીશું બાદમાં કોઈપણ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કરીશ. મહત્ત્વનું છે કે, આપમાં રાજીનામા બાદ કરપડા ભાજપ સાથે જોડાઈ રહ્યા હોવાના અણસાર મળી રહ્યા છે.
કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ સંકેત:રામોલ-હાથીજણમાં ડ્રેનેજનું કામ આપવાની દરખાસ્ત અટકાવાઈ
મધ્ય ઝોનમાં વિવિધ વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્ક નાખવા માટે મ્યુનિ.એ વી.સી. પ્રોજેક્ટ ઈન્ફ્રાને કામગીરી સોંપી હતી. જો કે આ કોન્ટ્રાક્ટરને ખૂબ ધીમી ગતિએ કામગીરી કરતાં હવે પૂર્વ ઝોનમાં રામલો-હાથીજણ વિસ્તારમાં ડ્રેનેજનું કામ આ કોન્ટ્રાક્ટરને આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ અટકાવી છે. રામોલ હાથીજણમાં ટીપી 76,78માં ખાસ કરીને હાથીજણ ગામમાં તેમજ આસપાસના વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્ક નાંખવાના કામ માટે વોટર સપ્લાય અને સુઅરેજ વિભાગે ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જેમાં 16.49 કરોડના ટેન્ડરમાં વી.સી. પ્રોજેક્ટ એન્ડ ઇન્ફ્રાનું સૌથી ઓછા ભાવનું ટેન્ડર આવ્યું હતું. જોકે આ દરખાસ્તને મંજુર કરતાં પહેલા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એ બાબત ધ્યાન પર લેવાઈ હતીકે, આ કોન્ટ્રાક્ટરને મધ્ય ઝોનમાં કામગીરી સોંપવામાં આવી છે. જો કે મંથરગતિએ કામગીરી ચાલતી હોવાથી જેથી આ કોન્ટ્રાક્ટરને ફરી કામ આપવામાં ન આવવું જોઇએ. જે સાથે આ દરખાસ્તને પરત કરી દેવાઈ છે. ધીમી કામગીરી નહીં ચલાવાયકોન્ટ્રાક્ટર ધીમી ગતિએ કામ કરે તો નિયત સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય નહીં, પરિણામે શહેરના વિકાસમાં વિક્ષેપ પડે. ત્યારે કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ સંકેત આપવા કે ધીમી કામગીરી ચલાવી લેવાશે નહીં માટે આ કામ પરત કરવામાં આવ્યું છે. - દેવાંગ દાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
અકસ્માત સર્જાયો:અક્સ્માતમાં સસરા, જમાઈ ઇજાગ્રસ્ત
મેંદરડા પાસે રિક્ષા, કાર વચ્ચે અક્સ્માત સર્જાતા જૂનાગઢ રહેતા સસરા, જમાઈ ઇજાગ્રસ્ત થયા હતા. શહેરમાં વણજારી ચોક ગરબીચોક પાસે આવેલ રાજભવન એપાર્ટમેન્ટમાં રહેતા 52 વર્ષીય નવરંગભાઇ દયાળભાઇ જેઠવા અને તેના બેલદાર શેરીમાં રહેતા 35 વર્ષીય જમાઈ પિયુષભાઈ ઈશ્વરભાઈ ચાવડા જીજે 19 ડબલ્યુબી 2452 નંબરની રિક્ષામાં સેક્શન બારીનો માલ ભરીને જૂનાગઢથી ડોળાસા જતા હતા. ત્યારે પહેલા જૂનાગઢ તરફ 8 કિલોમીટર દૂર સામેથી રોંગ સાઈડમાં પૂરઝડપે આવી રહેલી જીજે 11 સીડી 3040 નંબરની કારના ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી. જેના કારણે સસરા, જમાઈને ઇજા થતા 108 એમ્બ્યુલન્સ મારફત જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
પરિણીતાને સારવારમાં ખસેડાઈ:નશામાં ધુત પતિએ પત્નીનું માથું દીવાલમાં ભટકાવ્યું, ધમકી દીધી
મેંદરડા તાલુકાના ઈટાળી ગામે રહેતા 42 વર્ષીય આંગણવાડી હેલ્પર શોભનાબેન પરમારે તેના પતિ મનસુખભાઈ નારણભાઈ પરમાર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદ અનુસાર, બુધવારે સાંજે પતિ મનસુખભાઈ દારૂ પીધેલી હાલતમાં ઘરે આવ્યો હતો અને પત્ની તથા દીકરી સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. જ્યારે શોભનાબેને તેને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઉશ્કેરાયેલા પતિએ તેમને પકડીને તેમનું માથું જોરથી દીવાલમાં ભટકાવ્યું હતું અને નીચે પાડી દઈ માર માર્યો હતો. આ હુમલા દરમિયાન સાસુ દુધીબેનએ વચ્ચે પડી શોભનાબેનનો જીવ બચાવ્યો હતો. પીડિતાએ જણાવ્યું કે, તેમના લગ્નજીવનના 19 વર્ષ દરમિયાન પતિ વારંવાર ચારિત્ર્ય પર શંકા કરી શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. ઇજાગ્રસ્ત પરિણીતાને 108 મારફતે મેંદરડા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
જુગારીઓ રંગે હાથ ઝડપાયા:મુબારકબાગમાં રેલવે ટ્રેક પાસે જુગાર રમતા 2 શખ્સો ઝડપાયા, ચાર ફરાર
શહેરના મુબારકબાગમાં રેલવે પાટા પાસે જાહેરમાં જુગાર રમતા 2 શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય 4 શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. શિવરાત્રીના તહેવાર સબબ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે મુબારકબાગમાં રેલ્વેના પાટા પાસે બાવળની કાંટમાં કેટલાક ઈસમો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી. સ્થળ પરથી પોલીસે ઘોડીપાસાનો જુગાર રમી રહેલા ધારાગઢ દરવાજા પાસે રહેતો નુરમહમદ ઉર્ફે મુન્નો અબલાભાઈ મકરાણી અને વધાવી ગામના રમણીક વલ્લભભાઈ સોલંકીને ઝડપી લીધા હતા. જોકે, મુબારકબાગના શીવા હીરાભાઈ મકવાણા, સાજણ જીલુભાઈ મકવાણા, દિલીપ ઉર્ફે ભુરો મકવાણા અને હરસુખ ઉર્ફે ભોજો રાજાભાઈ સોલંકી નાસી ગયા હતા. જુગારીઓ પાસેથી રૂપિયા 11,220ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી ફરાર થયેલા આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
લૂંટરી દુલ્હનએ કરી છેતરપિંડી:લગ્નના બહાને 3.52 લાખની છેતરપિંડી, લૂંટરી દુલ્હન ફરાર
ખંભાળીયાના એક યુવક સાથે લગ્નના બહાને 3.52 લાખની છેતરપિંડી આચરી લૂંટરી દુલ્હન ફરાર થઈ જતા યુવતી સહિત 4 સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. ભેસાણ તાલુકાના ખંભાળીયા ગામે રહેતા 31 વર્ષીય વિજયભાઈ મનસુખભાઈ કોરાટની ફરિયાદ અનુસાર યુવકે અઢી વર્ષ પહેલા તેના સુરત રહેતા બનેવી દિવ્યેશભાઈ ઢાકેચાને સુરતમાં મહેશ પાટીદાર મળ્યો હતો અને તેને સાળા વિજયના લગ્ન થયેલું ના હોય તેથી કોઈ છોકરી ધ્યાનમાં હોય તો બતાવવાની વાતચીત થઈ હતી. જેથી મહેશ પાટીદારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ શિવ શક્તિ રેસીડેન્સીમાં રહેતી મોનિકા મૂળે નામની યુવતી બતાવી હતી. યુવતી પસંદ આવતા લગ્ન નક્કી કરવા માટે મોનિકાના પરિવારે અઢી લાખ રૂપિયાની માંગણી કરી હતી. જૂન 2023માં સુરતના ગાયત્રી મંદિર ખાતે લગ્ન સંપન્ન થયા હતા. લગ્ન દરમિયાન અને ત્યારબાદ વિજયભાઇના પિતાએ મહેશને દલાલીના 20,000 સહિત રૂપિયા 3,20,000ની રોકડ અને પેન્ડલ સેટ સહિત કુલ 3,52,500 આપ્યા હતા. પરંતુ લગ્નના 8 દિવસ બાદ મોનિકા તેના પિયર સુરત ગઈ હતી. જેના એક માસ પછી યુવાન તેને તેડવા ગયો ત્યારે સુરત ખાતે લગ્નની નોંધણી કરાવી યુવતીને ઘરે લાવ્યો હતો. 15 દિવસ રોકાઈ મોનિકા સુરત તેની માતા ઘરે જતી રહી હતી. બાદમાં મોનિકા પરત નહી આવતા આખરે બુધવારે વિજયભાઈએ ફરિયાદ કરતા ભેસાણ પોલીસે મોનિકા મુળે, તેની માતા કમલાબેન મુળે, ભાઈ સુરજ મુળે અને દલાલ મહેશ પાટીદાર વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાતનો ગુનો નોંધી ''''લૂંટરી દુલ્હન'''' અને તેની ટોળકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
સગીરાનું કરુણ મૃત્યુ થયું:ઝેરી દવા પી લેતા સગીરાનું મોત
કેશોદ પંથકમાં ઝેરી દવા પી લેતા પરપ્રાંતીય સગીરાનું મોત નિપજ્યું હતું. કેશોદ તાલુકાના અજાબ ગામે રહેતા મૂળ મહારાષ્ટ્રના નંદુબાર જિલ્લાના મડકાની ગામના રીનાબેન વામન કલા ઠાકરે ઉ.વ. 17 નામની સગીરાએ મંગળવારે વહેલી સવારે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ થતા પરપ્રાંતીય પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. સગીરાના આપઘાત પાછળનું કારણ બહાર નહીં આવતા પોલીસે મૃતકના પિતા વામન કલા ઠાકરેનું નિવેદન લઈ આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
વિતરણ:મેળામાં આદિત્ય ફાઉન્ડેશન દ્વારા શ્રદ્ધાળુઓને નિ:શુલ્ક છાશ વિતરણ
ગિરનારની તળેટીમાં આયોજિત પરંપરાગત મહા શિવરાત્રિનો મેળો હાલમાં પૂર્ણ જોશમાં ખીલ્યો છે. ભક્તિ અને આસ્થાના આ મહાકુંભમાં લાખોની સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓ જ્યારે આકરા તાપમાં પગપાળા યાત્રા કરી રહ્યા છે, ત્યારે આદિત્ય ફાઉન્ડેશન-જૂનાગઢ દ્વારા સેવા પૂરી પાડવામાં આવી રહી છે. સંસ્થાના અગ્રણી ભરતભાઈ બોરીચા અને હિરેનભાઈના નેતૃત્વમાં ગિરનાર દરવાજા પાસે નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. દરરોજ સવારે 10:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી ચાલતા આ સેવા યજ્ઞમાં બપોરના તાપમાં હજારો શ્રદ્ધાળુઓ ઠંડી અને શુદ્ધ છાશ પીને પોતાની તૃષા છીપાવી રહ્યા છે. ભરતભાઈ બોરીચાએ જણાવ્યું કે, મહાદેવના શરણમાં આવતા ભક્તોની સેવા કરવી એ જ અમારું લક્ષ્ય છે. આદિત્ય ફાઉન્ડેશન દર વર્ષે મેળા દરમિયાન છાશ અને પાણીના વિતરણ જેવી પ્રવૃત્તિઓ કરે છે.
કેન્સર કેમ્પ યોજાયો:કેન્સર કેમ્પમાં તપાસ કરાવેલ 257માંથી 206 લોકો તમાકુના વ્યસની
સિવિલ હોસ્પિટલ જૂનાગઢના કાન, નાક અને ગળા (ENT) વિભાગ દ્વારા ઓપીડી રૂમ ખાતે મોઢા તથા ગળાના કેન્સરના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 257 નાગરિકોએ તપાસ કરાવી હતી, જેમાં 175 પુરુષો અને 52 મહિલાઓનો સમાવેશ થાય છે. કેન્સર સર્જન ડો. સ્વપ્નિલ વનપરીયા અને ENT વિભાગના વડા ડો. રવિ મકવાણા દ્વારા દર્દીઓનું નિદાન અને કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી કે 206 વ્યક્તિઓ તમાકુના વ્યસની હતા, જેમાંથી 50 લોકોમાં ઓરલ સબમ્યુકોઝલ ફાઇબ્રોસીસ'(મોઢું ઓછું ખુલવું) ના લક્ષણો જણાયા હતા. 4 વ્યક્તિઓની દૂરબીનથી તપાસ કરી 2 ની બાયોપ્સી લેવામાં આવી હતી. તબીબોએ જણાવ્યું કે વહેલા નિદાનથી કેન્સરની સંપૂર્ણ સારવાર શક્ય છે અને સિવિલ હોસ્પિટલ ખાતે આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ કેમ્પમાં ડો. વત્સલ ગોંડલીયા, ડો. રેખા અને નર્સિંગ ઇન્ચાર્જ નીતિન ઉપાધ્યાયે સેવા આપી હતી.
શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડ પર મધ્યરાત્રિએ એક સગીર યુવક અને યુવતી શંકાસ્પદ હાલતમાં મળી આવતા સતર્ક અધિકારીએ તુરંત 181 અભયમ મહિલા હેલ્પલાઇનને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા સમજી કાઉન્સેલર અરુણા કોલડિયા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉજાલાબેન અને પાયલોટ અલ્પેશભાઈ તુરંત સ્થળ પર પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, 14 વર્ષીય સગીરા છેલ્લા છ મહિનાથી એક સગીર યુવકના પ્રેમમાં હતી. આ સંબંધની જાણ પરિવારને થતાં માતા-પિતાએ ઠપકો આપ્યો હતો, જેનાથી ડરીને બંને કિશોરો મધ્યરાત્રિએ પરિવારની જાણ બહાર ઘરેથી નીકળી ગયા હતા. અભયમ ટીમે સગીરાને માનસિક ટેકો આપી ધીરજપૂર્વક કાઉન્સિલિંગ કર્યું હતું. તેમને કાયદાકીય જોગવાઈઓ અને ઉજ્જવળ ભવિષ્યનું મહત્વ સમજાવતા સગીરાએ પોતાની ભૂલ સ્વીકારી ઘરે જવા સંમતિ દર્શાવી હતી. ત્યારબાદ પરિવારનો સંપર્ક કરી તેમને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. પરિવારે પોતાની દીકરીને સહી-સલામત પરત મેળવતા 181 ટીમનો આભાર માન્યો હતો. આ કિસ્સો તમામ વાલીઓ માટે પોતાના સંતાનો પ્રત્યે વધુ સતર્ક અને સંવેદનશીલ રહેવા માટે ઉદાહરણ પૂરું પાડે છે
વેધર રિપોર્ટ:ફરી ગરમીમાં વધારો, મહતમ તાપમાન વધીને 32.6 ડિગ્રી નોંધાયું
ગુરુવારે જૂનાગઢ સહિત સોરઠમાં ગરમીમાં વધારો થતા મહત્તમ તાપમાનનો પારો ઉપર ચડીને 32.6 ડિગ્રીએ પહોંચી જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. 24 કલાક બાદ ગુરુવારની સવારે જૂનાગઢનું લઘુતમ તાપમાન આંશિક રીતે ઘટીને 14.8 ડિગ્રી નોંધાયું હતું. ગુલાબી ઠંડી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને 67 ટકા થઈ ગયું હતું. સવારથી પવન પ્રતિ કલાકની 5.8 કિલોમીટરની ઝડપે ફૂંકાયો હતો. જેના પગલે બુધવાર ની સરખામણીએ મહત્તમ તાપમાનનો પારો 2 ડિગ્રી ઉપર ચડીને 32.6 ડિગ્રીએ સ્થિર થતા જૂનાગઢ સહિત સોરઠમાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું. આકાશમાંથી અગ્નિવર્ષા શરૂ રહેતા બપોરની હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 25 ટકા થઈ જતા તાપ વધુ આકરો થયો હતો. વધુ આગામી દિવસોમાં ગરમીનો પારો 36 ડિગ્રી ઉપર રહેવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.
ભવનાથના શૌચાલયમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો:મેળામાં મહિલાએ 1 કિલો 700 ગ્રામના બાળકને જન્મ આપ્યો
શિવરાત્રિના મેળામાં ગુરૂવારે સાંજે 7:40 કલાકે રાજકોટની મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. 108 મારફત તાત્કાલિક સિવિલમાં ખસેડવામાં આવી હતી. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે શિવરાત્રિના મેળામાં ગુરૂવારે સાંજે 7:40 આસપાસ ભવનાથના શૌચાલયમાં એક રાજકોટની મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. 108ને જાણ થતા જ તુરંત ભવનાથથી બાળક અને મહિલાને સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. મહિલાને અડધા મહિને નોર્મલ ડિલવરી થઇ છે. બાળકનુ વજન 1 કિલોને 700 ગ્રામનુ છે. હાલ બાળક સિવિલના નવજાત આઇસીયુમાં રાખેલ છે અને મહિલાની હાલત સ્વસ્થ છે.
મીની કુંભમેળો:શિવરાત્રી મેળાના પ્રથમ દિવસે 2405 ભાવિકોને આરોગ્ય સારવાર અપાઈ
ભવનાથ તળેટીમાં આયોજિત મહાશિવરાત્રીના મેળાના પ્રથમ દિવસે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 2405 ભાવિકોને આરોગ્ય સારવાર પૂરી પાડવામાં આવી હતી. મેળામાં આવેલા શ્રદ્ધાળુઓની સુવિધા માટે તંત્ર દ્વારા 28 કામચલાઉ દવાખાના અને હેલ્થ કેમ્પ કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાં 210 આરોગ્ય કર્મીઓ રાત-દિવસ ફરજ બજાવી રહ્યા છે. મેળા દરમિયાન કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે 13 એમ્બ્યુલન્સ અને 6 ‘108’ વાહનો તૈનાત રખાયા છે. પ્રથમ દિવસે સારવાર મેળવનાર પૈકી 4 દર્દીઓને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ રીફર કરાયા હતા. વિશેષ કરીને નાકોડા યુપીએચસી ખાતે 195 ભાવિકોએ સારવાર લીધી હતી. આ કેન્દ્રને આઈસીયુ સુવિધા, વેન્ટિલેટર, ઈસીજી અને લેબોરેટરી જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. મેળાના તમામ રૂટ પર તબીબી સ્ટાફ અને દવાઓનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવાયો છે જેથી ભાવિકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય જળવાઈ રહે.
પ્રજાના પૈસાનું પાણી કરાયું:જે રસ્તા પર 21 દિ' પહેલા પેચવર્ક થયુ તે ફરી ખોદી નવો બનાવાશે
જૂનાગઢમાં તંત્ર અને વોર્ડના કોર્પોરેટરો વચ્ચે સંકલનનો અભાવથી મનફાવે તેમ પ્રજાના પૈસાનુ પાણી થઇ રહ્યુ છે. જોષીપુરા વિસ્તારમાં પટેલ સમાજથી શાંતેશ્વર મંદિર સુધીના રસ્તામાં પાણી અને ગટરની લાઇન નાખવામાં માટે અગાઉ ખોદકામ કરાયુ હતુ. એ જ કામગીરી પૂર્ણ થયા બાદ અહીંના કોર્પોરેટરો દ્વારા પેચવર્ક કરી દેવાયુ હતુ. પરંતુ પેચવર્ક કર્યાને 21 દિવસ બાદ એટલે કે તારીખ 12 ફેબ્રુઆરીને ગુરૂવારે પટેલ સમાજથી બાયપાસને જોડતો માર્ગ 8 થી 10 કરોડના ખર્ચે બનનાર છે તેનુ ખાતમૂર્હુત કરવામાં આવ્યુ હતુ. ઉલેખનીય બાબત એ છે જે રોડને 21 દિવસ બાદ નવો જ બનાવવાનો હતો તો અગાઉ પેચવર્ક કરીને પ્રજાના પૈસાનુ પાણી શું કામ કર્યુ, કોર્પોરેટર અને તંત્ર વચ્ચે સંકલનના અભાવે લોકોના ટેક્ષના પૈસાનો વેડફાટ થઇ રહ્યો છે. નગરસેવિકાના પુત્ર, સાથી કોર્પોરેટરને મિડીયામાં ફોટો મુકી હિરો થવાની ઘેલછાવોર્ડ નંબર 6 ના નગરસેવિકાના પુત્ર કેવિન અકબરી સાથી કોર્પોરેટર પ્રવિણ વાઘેલા સાથે 22 જાન્યુઆરીના રોજ લોકોને અગવડતા ન પડે તે માટે પટેલ સમાજથી શાંતેશ્વર મંદિર સુધીના રોડ પર પેચવર્ક કરવામાં આવ્યુ એની પોસ્ટ મુકી હતી. બાદમાં તારીખ 12 ફેબ્રુઆરીના રોજ આ જ રસ્તો 8 થી 10 કરોડના ખર્ચે નવો બનશે તેનુ ખાતમૂર્હુત કરાયુ તેની પોસ્ટ મુકી છે. એટલે કે કોર્પોરેટરના પુત્ર અને તંત્ર વચ્ચેના સંકલનના અભાવે પ્રજાના પૈસાનુ પાણી થઇ રહ્યુ છે. જો રોડ 21 દિવસ પછી નવો જ બનાવવાનો હતો તો અગાઉ ખર્ચ કરીને પેચવર્ક શું કામ કરાવ્યુ, શું કોર્પોરેટરોને સોશ્યલ મિડીયામાં ફોટા મુકીને હિરો બનવાની ઘેલછા તો નથી ને ?, શું કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ રાતોરાત જ મંજૂર થયો સહિતના પ્રશ્નો ચર્ચાય રહ્યા છે.
ભાસ્કર ઇમ્પેક્ટ:ભાસ્કરના અહેવાલ પછી ધૂણાઓમાં પાણી જતુ અટક્યુ, કારપેટ પથરાઇ
શિવરાત્રિના મેળાનો 11 ફેબ્રુઆરીથી પ્રારંભ થઇ ગયો છે. મેળાની અગાઉ જ દેશભરમાંથી સાધુઓ ભવનાથમાં પહોંચી ધૂણા ધખાવીને શિવજીની આરાધનામાં લીન બન્યા હતા. આ વર્ષે દત્તચોક પાસે તંત્ર દ્વારા જ સાધુઓને ધૂણા બનાવી દેવામાં આવ્યા હતા. આ ધૂણાઓમાં મેળાના પ્રથમ દિવસે જ પાણીની લાઇન લીક થઇ જતા પાણી ઘૂસી ગયુ હતુ. જેને કારણે સાધુઓના ધૂણાઓ પલડી ગયા હતા. નાગા સાધુઓએ પાણીમાં બેસીને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. ઉપરાંત તંત્રએ જમવાની તો ઠીક પાણીની પણ અમારા માટે વ્યવસ્થા કરી નથી એવો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર બાબતને લઇ ભાસ્કરે સચિત્ર અહેવાલા પ્રસિદ્ધ કર્યો હતો. અહેવાલ બાદ તુરંત તંત્ર હરકતમાં આવ્યુ હતુ અને ધૂણા ધખાવીને બેસેલા સાધુઓને ચાલવામાં તેમજ અન્ય કોઇપણ રીતે મુશ્કેલી ન પડે તે માટે કારપેટ પાથરી દેવામાં આવી હતી.
દેશભરમાંથી માતાઓ કિન્નર અખાડામાં આવ્યા:આખું વર્ષ દુનિયા અમને ખવડાવે, આ 7 દિવસ અમે જનતાને જમાડીએ '
ગરવા ગિરનારની તળેટીમાં શિવરાત્રિના મેળાનો રંગ જામ્યો છે. આ મેળામાં આકર્ષણનું કેન્દ્ર બનેલા કિન્નર અખાડાના અધ્યક્ષ ગિરનારી માતાએ શ્રદ્ધાળુઓ સાથે હૃદયસ્પર્શી સંવાદ કર્યો હતો. સાધુ-સંતોએ અમને જે માન આપ્યું છે તે અમારા માટે સૌભાગ્યની વાત છે. અહીં અમને 'અર્ધનારીશ્વર' ના રૂપમાં આદર મળે છે. આખું વર્ષ સમાજ અમને આપે છે અને અમારું ભરણપોષણ કરે છે, પરંતુ મેળાના આ 7 દિવસ અમે અન્નક્ષેત્ર ચલાવીને લોકોને પ્રેમથી જમાડીએ છીએ. રાત્રિના સમયે અહીં ભજનની ભારે જમાવટ થાય છે, જેમાં હજારોની મેદની કિન્નરોના આશીર્વાદ લેવા અને ભક્તિમાં લીન થવા ઉમટી પડે છે. માતા-પિતાની સેવા એ જ સાચી ભક્તિ ગિરનારી માતાએ યુવા પેઢીને સંદેશ આપતા કહ્યું કે, અમે નસીબદાર નથી કે અમારા માતા-પિતાની સેવા કરી શકીએ, પણ તમે લોકો ચોક્કસ કરજો. જો તમે તમારા મા-બાપને સાચવશો તો જ માતાજી તમારા પર પ્રસન્ન થશે. માતા-પિતાનું સન્માન એ દુનિયાનું સૌથી મોટું પુણ્ય છે. > ગિરનારી માતા(સ્વીટુ મા), કિન્નર અખાડા. જાણો... કિન્નર અખાડાનું મહત્વ ?વર્ષો સુધી ઉપેક્ષિત રહેલા કિન્નર સમાજને આ અખાડા દ્વારા ધાર્મિકમાન્યતા અને સન્માન મળ્યું છે, ભગવાન શિવના ''અર્ધનારીશ્વર''સ્વરૂપના તેઓ પ્રતીક ગણાય છે, એવી માન્યતા છે કે કિન્નર સંતોના આશીર્વાદ ફળદાયી હોય છે, તેથી શ્રદ્ધાળુઓ તેમના દર્શન માટે ઉમટી પડે છે.
વિવાદ:નબળી કામગીરી હોવા છતાં સરખેજ ઓકાફ તળાવનો કોન્ટ્રાક્ટ અપાશે
સરખેજમાં આવેલા ઓકાફ તફાવ ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી પાણી શુદ્ધ કરી તેનાથી તળાવ ભરવાની યોજના માટે મ્યુનિ. દ્વારા 10 વર્ષ માટે 32.56 કરોડનો કોન્ટ્રાક્ટ રાજમલ બિલ્ડર્સ ઈન્ફ્રાને અપાયો છે. આ કોન્ટ્રાક્ટરે ગાંધીઆશ્રમ પાસે જલવિહાર એસટીપી પ્લાન્ટમાં એનજીટીના નિયમ પ્રમાણે પાણીમાં શુદ્ધતા લાવી શકાઇ ન હતી. જોકે તેમ છતાં ફરીથી આ કોન્ટ્રાક્ટરને કામ અપાતા વિવાદ ઊભો થયો છે. સરખેજમાં આવેલા ઓકાફ લેક ખાતે 5 એમએલડીનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે ટેન્ડર મગાવાયા હતા. આ કામ રાજમકલ બિલ્ડર ઈન્ફ્રા.ને સોંપવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ થઈ હતી. જે દરખાસ્તમાં 23.38 કરોડ એસટીપી બનાવવા તેમજ 9.17 કરોડ એસટીપીને 10 વર્ષ માટે ચલાવવાની રકમ મળી રૂ. 32.56 કરોડમાં કામની દરખાસ્ત હતી.
શિક્ષકોમાં અસંતોષ:સરકાર હવે શિક્ષકો પાસે રખડતાં કૂતરાં પણ ગણાવશે
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ હસ્તકની કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા શિક્ષકોને માટે શ્વાનોની ગણતરી કરવાની કામગીરી કરવાનો આદેશ અપાતા શિક્ષકોમાં ભારોભાર અસંતોષ ફેલાયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ પક્ષે કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ શ્વાનની ગણતરીની કામગીરીનો પરીપત્ર રદ કરીને અન્ય વ્યવસ્થા તાત્કાલિક ઊભી કરવાની સરકાર સમક્ષ માંગણી કરી છે. તેમનું કહેવુ છે કે, ગુજરાતમાં ઘણાં બધા સમયથી શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની બીજી કામગીરી કરાવવામાં આવી રહી છે.જેમાં શૌચાલયની ગણતરી, ભીડ ભેગી કરવી, ચૂંટણીલક્ષી કામગીરી, એસઆઈઆરની કામગીરીનો સમાવેશ થાય છે. શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની 60થી વધુ કામગીરી કરાવાય છે, જેના લીધે શિક્ષકો પર કામનું ભારણ વધી રહ્યું છે અને શિક્ષક સમુદાય માનસિક રીતે તણાવ અનુભવી રહ્યો છે. ગુજરાતમાં સ્કૂલોમાં 40 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે, 3000 જેટલી શાળાઓ તો માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે.
વાતાવરણ:ઠંડીનો પારો ઉંચકાયો, તાપમાન 17 ડિગ્રી થયું
જામનગરમાં ઠંડીમાં થતી વધ-ઘટની સાથે-સાથે તાપમાનમાં પણ વધારો ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે ગુરૂવારે લઘુત્તમ તાપમાનનો પારો 17 ડિગ્રી નોંધાયું છે, સવાર-સાંજ ઠંડી અને બપોરના ગરમીના કારણે મિશ્રઋતુનો માહોલ સર્જાયો છે. મિશ્રઋતુના કારણે તાવ, શરદી અને ઉધરસના કેસમાં પણ વધારો થયો છે. શિયાળાની વિદાય વચ્ચે જામનગરમાં ધીમે ધીમે ઉનાળાનું આગમન થઈ રહ્યું હોય તેમ મિશ્રઋતુનો માહોલ સર્જાયો છે. રાત્રિના ઠંડી અનુભવાય છે તો બપોરના સમયે ગરમીનો લોકોને અહેસાસ થાય છે. ત્યારે ગરૂવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 30.5 ડિગ્રીએ અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 82 ટકાએ સ્થિર રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ 25 થી 30 કિ.મી.ની રહેવા પામી હતી. બેવડી ઋતુના પગલે રોગચાળામાં વધારો થયો છે.
4 ઓપીડી કાર્યરત:ધરારનગરમાં પીવાના પાણીની લાઈનમાં ત્રણ અને 2 વાલ્વ લીકેજ, 11 ગેરકાયદે જોડાણ કટ
જામનગર શહેરના ધરારનગર-1માં ગટરના પાણી મિશ્રિત પીવાનું પાણી વિતરણ કરાતા ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે, વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયા બાદ 4 કામચલાઉ ઓપીડી કાર્યરત કરીને 429 દર્દીઓને તપાસ કરતા 105 ઝાડા-ઉલટીના કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સર્વેની ટીમોમાં વધારો કરીને 41 ટીમોએ હાઉસ-ટુ-હાઉસ 9113 ઘરોનો સર્વે કરીને 1,30,775 ક્લોરીન ટેબ્લેટસ અને 3,046 ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરના ધરારનગર-1 વિસ્તારમાં ગત તા.8 ફેબ્રુઆરીના ઝાડા-ઉલટીના કેસ સામે આવતા મ્યુ.તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. મ્યુ.કમિનશનર ડી.એન.મોદીની સૂચનાથી આરોગ્ય, વોટર વકર્સ, ડ્રેનેજ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ચાર વિભાગોની સંયુક્ત ટીમો દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં આરોગ્ય વિભાગની વિસ્તારમાં 27 સર્વે ટીમો દ્વારા શરૂ કરાયેલ હાઉસ-ટુ-હાઉસ તપાસ વધારીને 41 ટીમો કરવામાં આવી છે, અત્યાર સુધીમાં 9,113 ઘરોનો સર્વે કરીને 1,30,775 ક્લોરીન ટેબ્લેટ્સ અને 3,046 ઓઆરએસ પેકેટનું વિતરણ કરાયું છે. તેમજ વિસ્તારમાં 4 કામચલાઉ ઓપીડી કાર્યરત કરીને 429 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 105 ઝાડા-ઉલટીના દર્દીઓને સ્થળ પર જ સારવાર આપવામાં આવી છે. હાલ 39 દર્દીઓ દાખલ છે, જેમાંથી 20 કોલેરા પોઝિટીવ છે અને 26 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ ઉપરાંત વોટર વર્ક્સ વિભાગ દ્વારા પાઈપલાઈનમાં 3 લીકેજ અને 2 વાલ્વ લીકેજનું સમારકામ કરવામાં આવ્યું છે. તેમજ ડ્રેનેજ ચેમ્બરમાંથી પસાર થતા 11 ગેરકાયદે પાણીના જોડાણો શોધીને તાત્કાલિક કાપી નાંખવામાં આવ્યા છે. સમગ્ર લાઈનને 5 ppm ક્લોરીન યુક્ત પાણીથી સાફ કર્યા બાદ નળ વાટે પાણી પુરવઠો ફરી શરૂ કરાયો છે અને ક્લોરીનેશનનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ વિસ્તારમાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા 50 સફાઇ કામદારોને ટીમ સાથે દરરોજ 1000 કિલો જંતુનાશક પાવડરનું ડસ્ટિંગ અને સફાઇ કરવામાં આવી રહી છે. આઈસ ગોલા-પાણીપુરી વિક્રેતા પર પ્રતિબંધજામ્યુકોના ફૂડ વિભાગ દ્વારા કોલેરાના રોગચાળાને ધ્યાનમાં રાખીને ધરારનગર-1 વિસ્તારમાં પાણીપુરી અને આઈસ ગોલા જેવા જોખમી વિક્રેતાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આઈસ ફેક્ટરી અને આર.ઓ.પ્લાન્ટના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
તંત્ર હરકતમાં:જામનગરમાં 157 જેટલા કિયોસ્ક બોર્ડ જપ્ત કરાયા
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા શહેરમાં આડેધડ મંજુરી લીધા વગર જાહેરાતના બિયોસ્ક બોર્ડ, બેનરો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં 157 જેટલા કિયોસ્ક બોર્ડ ઉતારીને જપ્ત કરવામાં આવ્યા છે. શહેરમાં ધંધાર્થીઓ દ્વારા જાહેર માર્ગ પર મહાનગરપાલિકાની મિલકતોમાં આડેધડ મુકાયેલા જાહેરાતના બોર્ડ અને બેનરોને જપ્ત કરવાની જામ્યુકોની દબાણ હટાવ શાખાએ કામગીરી હાથ ધરી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી શહેરના રણજીતસાગર રોડ, એસ.ટી.ડેપો રોડ, ખંભાળિયા નાકાના બહારના રોડ, તેમજ લાલ બંગલાથી ટાઉન હોલ, સાત રસ્તા સુધીના જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદે જાહેરાતના બોર્ડ, બેનરો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આજે રણજીતસાગર રોડ પર કામગીરી હાથ ધરીને અંદાજે 48 જેટલા કિયોસ્ક બોર્ડ, બેનરો જપ્ત કરવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણેક દિવસમાં 157 જેટલા બોર્ડ અને બેનરો દુર કરવામાં આવ્યા છે.
આવેદન:29 મજુર કાયદાઓ રદ, નવા ચાર લેબર કોડથી કામદારોમાં ઉગ્ર રોષ
કેન્દ્ર સરકારે 29 મજુર કાયદાઓને રદ કરી તેની જગ્યાએ નવા 4 લેબર કોડને સમગ્ર દેશમાં લાગુ કરવા જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. જેથી જામનગર જિલ્લા ઈન્ટુકના નેજા હેઠળ આજે કામદારોએ વિરોધ પ્રદર્શન કરીને નવા 4 લેબર કોડ રદ કરવાની માંગણી કરવામાં આવી છે. જામનગર સહિત દેશમાં આશરે 61 કરોડ કામદારો સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે, તેઓ તમામ પુજીપતીઓના ગુલામ બની જશે, જેથી કામદારોના ટેડ યુનિયનો વિવિધ ફેડરેશનોમાં અતિભારે આક્રોશ સાથે વિરોધ થઈ રહ્યો છે. નવા 4 લેબર કોડ કામદાર વિરોધી દેશના બંધારણ વિરોધી છે. સરકારે આ નવા 4 લેબર કોડ કામદારોના સામાજીક સુરક્ષા તથા કાયમી નોકરીની ગેરેન્ટી માટે નહીં પણ દેશના પુજીપતી માલિકો કોર્પોરેટના માધાંતાઓ તથા વિદેશી મલ્ટી નેશનલ કંપનીઓના લાભમાં દબાણ હેઠળ લાગુ કરી દીધા છે. જેથી જામનગરની જિલ્લા ઈન્ટુક સંઘના નેજા હેઠળ પીએમ નરેન્દ્રભાઈ મોદીને લેખિતમાં રજુઆત કરીને કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, અને કેન્દ્ર સરકારના નવા 4 લેબર કોડ રદ કરવાની માંગણી કરવામાં આવી છે.

33 C