અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઈવે નજીક BRTS ટ્રેકમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. BRTS ટ્રેકમાં મોપેડ ચાલકને બીઆરટીએસ બસ ચાલકે અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્ત મોપેડ ચાલક યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર વાગતા ની સાથે જ મોપેડ ચાલક 50 થી 60 ફૂટ જેટલો ઢસડાયો હતો અને મોપેડનું આગળનું ટાયર પણ નીકળી ગયું હતું. ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 મારફતે યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં બીઆરટીએસ ટ્રેકમાં મોપેડ ચાલક અને બસ વચ્ચે અકસ્માત, હેલ્મેટ પહેર્યા વગર ચલાવતા માથામાં ગંભીર ઇજા, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. જશોદાનગરથી CTM તરફ જતા બીઆરટીએસ ટ્રેક માં એક મોપેડ ચાલક પોતાનું મોપેડ લઈને જઈ રહ્યો હતો ત્યારે ટ્રેકમાં ચાલતી બીઆરટીએસ બસ સાથે ટક્કર થઈ હતી અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર વાગ્યા બાદ 50 થી 60 ફૂટ મોપેડ ખસેડાયું હતું. યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માતના કારણે મોપેડનો આગળનો ભાગ પણ નીકળી ગયો હતો અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. આ યુવક બીઆરટીએસ ટ્રેકના રોડ ઉપર પડેલો હતો જેથી આસપાસના સ્થાનિક રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. માથાના ભાગે યુવકને ગંભીર ઇજા થઈ હતી જેના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસને જાણ થતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરમાં બીઆરટીએસ ટ્રેક માં વાહન ચલાવવા પર પ્રતિબંધ છે છતાં પણ કેટલાક વાહનચાલકો પોતાના વાહન બીઆરટીએસ માં ચલાવતા હોય છે. જેના કારણે બસની સાથે અકસ્માતની ઘટના બનતી હોય છે. પૂર્વ વિસ્તારના બીઆરટીએસ માં અનેક વાહન ચાલકો આ પ્રકારે પોતાના વાહનો ચલાવતા હોય છે જેના કારણે થઈને આવી અકસ્માતની ગંભીર ઘટના બને છે
જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે કેશોદ પંથકમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર લાલ આંખ કરી છે. મંગલપુર ફાટક પાસે પોલીસ દ્વારા કરવામાં આવેલા ફિલ્મી ઢબે પીછો દરમિયાન એક ઇનોવા કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માત બાદ કારમાંથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઘટનામાં ત્રણ બુટલેગરો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે શખસ પોલીસને હાથતાળી આપી નાસી છૂટવામાં સફળ રહ્યા છે. પોલીસને જોઈ બુટલેગરોએ કારની સ્પીડ વઘારીજૂનાગઢ એલસીબીને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, એક સિલ્વર કલરની ઇનોવા કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને બુટલેગરો મંગલપુર ફાટકથી મઢડા ગામ તરફ જઈ રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી હતી. પોલીસને જોતા જ બુટલેગરોએ પોતાની ઇનોવા કાર (GJ 11 BR 9873) પૂરપાટ ઝડપે હંકારી મૂકી હતી. પોલીસે પણ તરત જ સરકારી વાહનો સાથે આ કારનો પીછો શરૂ કર્યો હતો. રસ્તા પર પકડાઈ જવાના ડરથી બુટલેગરોએ કાર પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું અને ઇનોવા કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. 3 આરોપી કારમાં દબાઈ ગયા, બે ફરાર અકસ્માત સર્જાતા જ કારમાં સવાર પાંચ શખસમાંથી બે અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા. જ્યારે અન્ય ત્રણ શખસ કારની અંદર જ ફસાઈ ગયા હતા અને તેમને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. પોલીસે તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્ત આરોપીઓ દુદા દેવરાજ કોડીયાતર, નયન ટપુ વંશ અને બાલુ દાના કોડીયાતરને કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. બીજી તરફ, નાસી છૂટેલા આરોપીઓ પરેશ દાના કોડીયાતર અને કરસન કાના કોડીયાતરની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે. ત્રણેય આરોપી પોલીસના પહેરા હેઠળ સારવારમાંપોલીસે પલટી મારેલી ઇનોવા કારની તલાશી લેતા તેમાંથી નાની-મોટી કુલ 975 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી. આ દારૂના જથ્થાની બજાર કિંમત અંદાજે 2,14,860 રૂપિયા જેટલી થાય છે. દારૂ ઉપરાંત પોલીસે ઘટનાસ્થળેથી ઇનોવા કાર અને બુટલેગરોના મોબાઈલ ફોન સહિત કુલ 12,34,860 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં પકડાયેલા ત્રણેય આરોપી પોલીસના પહેરા હેઠળ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબીમાં લક્કી ગ્રુપની ચકલી બચાવ ઝુંબેશ:વિશ્વ ચકલી દિવસે 3500 માળા, 1500 કુંડાનું વિતરણ
મોરબીના સામાકાંઠે કાર્યરત લક્કી ગ્રુપ દ્વારા ચકલી બચાવવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. વિશ્વ ચકલી દિવસ નિમિત્તે, આ ગ્રુપ દર વર્ષે પોતાના ખર્ચે હજારો ચકલીના માળાનું વિતરણ કરે છે. આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મોરબીમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ચકલીના માળાનું વિતરણ થઈ રહ્યું છે. સામાકાંઠે વિસ્તારમાં ૧૬ યુવાનોનું લક્કી ગ્રુપ સક્રિય છે. ગ્રુપના સભ્ય મોહિત ઘોડાસરાએ જણાવ્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી તેમનું ગ્રુપ આ ચકલી બચાવો ઝુંબેશ ચલાવી રહ્યું છે. તેઓ કોઈની પાસેથી દાન લીધા વિના પોતાના ખર્ચે માળા બનાવી લોકોને વિનામૂલ્યે આપે છે. આ વર્ષે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આશરે 3500 ચકલીના માળા અને 1500 પાણીના કુંડાનું વિતરણ કરવાનું આયોજન છે. લક્કી ગ્રુપના સભ્ય સંજયભાઈ પટેલે જણાવ્યું કે, આશરે 16 વર્ષ પહેલા મિત્રોએ કંઈક અલગ કરવાની ઈચ્છાથી આ ઝુંબેશ શરૂ કરી હતી. ત્યારથી દર વર્ષે ચકલી દિવસે હજારો માળાનું વિતરણ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, વિવિધ ક્ષેત્રોમાં રોજગારી મેળવતા આ શ્રમજીવી યુવાનો કોઈ પણ ફંડફાળા વગર સ્વખર્ચે આ કાર્ય કરે છે. લોકોને પણ આ યુવાનોના ઉત્સાહને વધારવા માટે પૂરો સહકાર આપે છે. આજે મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે જાહેરમાં ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
સાબરકાંઠાના પાંચ તાલુકામાં કમોસમી વરસાદ:કાપેલા ઘઉંમાં કાળી ડાઘી પડતા ખેડૂતોને નુકસાનની ભીતિ
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પાંચ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. ગત રાત્રિએ આઠમાંથી પાંચ તાલુકામાં 1 થી 3 મિલીમીટર હળવો વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે ખેતરોમાં કાપણી કરીને રાખેલા ઘઉંના પાકમાં કાળી ડાઘી પડવાની શક્યતા સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતોને નુકસાન થવાનો ભય છે. હવામાન વિભાગની આગાહી બાદ ગુરુવારે સવારથી જ જિલ્લામાં ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડી રહી હતી. મોડી સાંજ સુધી પવન ફૂંકાતો રહ્યો હતો. રાત્રિના સમયે વીજળીના ચમકારા સાથે પવન અને કમોસમી વરસાદ શરૂ થયો હતો. જોકે, વરસાદ હળવો અને ઓછા સમય માટે વરસ્યો હતો. આ કમોસમી વરસાદની અસર ખેતરોમાં કાપેલા ઘઉંના પૂળા પર થઈ છે. વરસાદને કારણે ઘઉંમાં કાળી ડાઘી પડી શકે છે, જેનાથી તેની ગુણવત્તામાં ઘટાડો થશે અને બજારમાં ઓછો ભાવ મળવાની શક્યતા છે. હિંમતપુરના ખેડૂત જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે, તેમણે 10 વીઘામાં ઘઉંનું વાવેતર કર્યું હતું, જેમાંથી 7 થી 8 વીઘાના ઘઉંની કાપણી કરી લીધી હતી. બાકીના ઘઉં ખેતરમાં ઉભા હતા. પવનના કારણે ઉભા ઘઉં પડી ગયા અને કમોસમી વરસાદથી ભીના થયા છે, જેના કારણે ઘઉંમાં કાળી ડાઘી પડી જશે અને ભાવ ઓછો મળશે. આ અંગે સાબરકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી ભાવેશભાઈ જોશીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, કમોસમી વરસાદથી ક્યાંય મોટા નુકસાનની જાણ નથી, પરંતુ આ વરસાદથી ઘઉંમાં કાળી ડાઘી પડી શકે છે, જેના પરિણામે ખેડૂતોને ઓછો ભાવ મળી શકે છે.જિલ્લાના આઠમાંથી પાંચ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં હિંમતનગરમાં 1 મિલીમીટર, ઈડરમાં 2 મિલીમીટર, વડાલીમાં 3 મિલીમીટર, વિજયનગરમાં 2 મિલીમીટર અને ખેડબ્રહ્મામાં 3 મિલીમીટર વરસાદ પડ્યો હતો. જ્યારે પોશીના, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.સાબરકાંઠા જિલ્લામાં રવિ સિઝનમાં કુલ 1,75,481 હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થયું છે, જેમાં ઘઉં, જુવાર, મકાઈ, તમાકુ, ચણા, રાઈ, જીરું, ધાણા, લસણ, વરિયાળી, ડુંગળી, બટાકા, શાકભાજી અને ઘાસચારાનો સમાવેશ થાય છે. ઘઉંનું વાવેતર 96,536 હેક્ટરમાં થયું છે.
ગોધરામાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ:વીજળીના કડાકા સાથે પડ્યો, ખેડૂતો ચિંતિત
પંચમહાલ જિલ્લાના ગોધરા અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા કમોસમી વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતા વ્યાપી છે. દિવસભર અસહ્ય ગરમી બાદ મોડી રાત્રે વાતાવરણ બદલાયું હતું. આકાશમાં કાળા વાદળો છવાયા હતા અને ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા થયા હતા. ગોધરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે રસ્તાઓ ભીના થયા હતા. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેણે લોકોને ગરમીથી મોટી રાહત આપી હતી. જોકે, ભર ઉનાળે પડેલા આ કમોસમી વરસાદથી તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.
મહેસાણા જિલ્લાના લીંચ ગામમાં તસ્કરોએ હવે ધોળા દિવસે વેપારીઓને નિશાન બનાવવાનું શરૂ કરતા ફફડાટ વ્યાપી ગયો છે. ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ 'શિવ પાર્લર'માં આઈસ્ક્રીમ લેવાના બહાને આવેલા બે અજાણ્યા બાઈક સવારો વેપારીના ગળામાંથી આશરે રૂ 3.90 લાખની કિંમતની સોનાની બે ચેઈન તોડી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. આ મામલે લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ફરિયાદી બસ સ્ટેશન પાસે પાર્લર ચવાલે છેલીંચ ગામના તોતરમાતાના મંદિર પાસે રહેતા 52 વર્ષીય ભરતજી રામસંગજી ઠાકોર ગામના બસ સ્ટેન્ડ પાસે ‘શિવ પાર્લર’ ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. ગત સાંજે આશરે સાડા છ વાગ્યાના સુમારે એક બાઈક પર બે અજાણ્યા શખ્સો તેમની દુકાને આવ્યા હતા. જેમાં બાઈક ચલાવનાર શખ્સે કાળા રંગનું ટી-શર્ટ અને હેલ્મેટ પહેર્યું હતું. જ્યારે પાછળ બેઠેલા સફેદ શર્ટધારી શખ્સે પ્રથમ ગુટખા અને વેફર ખરીદી વેપારીનો વિશ્વાસ કેળવ્યો હતો. બે ચેઈન તોડી ગઠિયાઓ ફરારત્યારબાદ સાતેક વાગ્યાના સુમારે આ ગઠિયાએ આઈસ્ક્રીમ માંગતા ભરતજી દુકાનના આગળના ભાગે મુકેલ ફ્રિજ ખોલવા માટે નીચે નમ્યા હતા. વેપારી જેવો નીચે નમ્યો કે તુરંત જ તકનો લાભ ઉઠાવી ગઠિયાએ તેમના ગળામાં પહેરેલી સાડા ત્રણ તોલાની સોનાની ચેઈન કિંમત રૂ 2,28,000 અને અઢી તોલાની બીજી સોનાની ચેઈન કિંમત રૂ 1,62,500 મળી કુલ 6 તોલાના દાગીના ઝુંટવી લીધા હતા. વેપારી કઈ સમજે તે પહેલા જ બંને લૂંટારુઓ બાઈક પર સવાર થઈ પલાયન થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી તપાસી શોધખોળ શરૂ કરીભરતજીએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો અને અન્ય વેપારીઓ એકઠા થઈ ગયા હતા, પરંતુ લૂંટારુઓ હાથ લાગ્યા નહોતા. આ અંગે લાંઘણજ પોલીસને જાણ કરાતા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસી આરોપીઓને પકડવા માટે કવાયત તેજ કરવામાં આવી છે.
રાજ્યમાં દારૂબંધી વચ્ચે બુટલેગરો હવે અન્ય રાજ્યમાંથી દારૂ જાતે લેવા જવાની જગ્યાએ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને દારૂ મંગાવી રહ્યા છે. સરદારનગર પોલીસે માલસામાન હેરફેર કરતી કંપની પોર્ટર મારફતે લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજસ્થાનથી કપડાના માલનું બિલ બનાવીને ટ્રાન્સપોર્ટમાં માલ નારોલ ખાતે મોકલવામાં આવ્યો હતો જ્યાંથી પોર્ટર મારફતે સરદારનગર વિસ્તારમાં દારૂ મંગાવ્યો હતો. પોલીસે પોર્ટરમાં લઈ જવાતા વાહનમાં તપાસ કરતા દારૂ મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે દારૂ મંગાવનાર અને મોકલનાર સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. દારૂને પોર્ટર કરાવ્યોઅમદાવાદનું સરદારનગર વિદેશી અને દેશી દારૂનું હબ ગણવામાં આવે છે જ્યાં સૌથી વધારે દારૂનું વેચાણ થતું હોય છે ત્યારે હવે બુટલેગરો પોતાનો દારૂ ટ્રાન્સપોર્ટ મારફતે કોઈ ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં મંગાવે છે અને ત્યાંથી માલ સામાન હેરફેર કરતા વાહનોમાં મંગાવી લે છે જેના કારણે પોલીસના ધ્યાન ઉપર જલ્દી આવતું નથી. જોકે સરદારનગર પોલીસે પોર્ટર મારફતે મંગાવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પીઆઇ એસ.એ ગોહિલને બાતમી મળી હતી કે પોર્ટર મારફતે ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો કુબેરનગર ખાતે લાવવામાં આવી રહ્યો છે. જેના આધારે બાતમીવાળા ટેમ્પોને મહાવીર કસરત શાળા પાસે રોકવામાં આવ્યો હતો. ડ્રાઇવરનું નામ પૂછતા તેનું નામ ભગવતીપ્રસાદ ભાવસાર હોવાનું જણાવ્યું હતું અને પોતે પોર્ટરમાં ટેમ્પો ચલાવતા હોવાનું જણાવ્યું હતું. ટેમ્પોમાં 20 બોક્સ મળ્યાપોલીસે ટેમ્પો ખોલીને જોતા તેમાં પાંચ જેટલા મોટા પાર્સલ મળી આવ્યા હતા. 20 જેટલા બોક્સ મળી આવ્યા હતા. જે તમામ બોક્સ ખોલીને જોતા તેમાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. દારૂની બોટલો હોવાને લઈને પોલીસ દ્વારા ડ્રાઇવરની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે ટેમ્પો છેલ્લા ત્રણ વર્ષથી પોર્ટરમા ચલાવે છે. પોતે ટેમ્પો લઇ પોર્ટરના કામથી નીકળેલ હતા. નારોલ ગામમાં ટેમ્પો લઇ જતા હતા તે દરમિયાન પોર્ટર એપ્લીકેશન ઉપર એક ઓર્ડર દેવડીવાલા કંમ્પાઉન્ડ નારોલ ગામ ખાતેથી પાર્સલ લઇ સી વોર્ડ કુબેરનગરના ઓર્ડરને એપ્લીકેશનમાં એકસેપ્ટ કર્યો હતો. કપડાના માલનું બિલ આપ્યુંકે.બી.લોજીસ્ટીક ટ્રાન્સપોર્ટમાંથી પાર્સલ લેવાના હોય જેથી ટ્રાન્સપોર્ટ ઓફિસમાં હાજર વ્યક્તિએ બે પાવતી તથા દર્શના ફેશન જયપુર રાજસ્થાન અને જયપુરી પ્રિન્ટ કલોથનું બિલ આપ્યું હતું અને પાર્સલ ટેમ્પામાં ભરી દેતા તેઓ નીકળ્યા હતા. ઓર્ડર બુક કરાવનાર વ્યક્તિના મોબાઈલ ફોન પર વાત કરતા તેમણે કહ્યું હતું કે તમે લોકેશન ઉપર હાજર રહો ત્યાં લોકેશન પર પ્રદીપ રામચંદાણી સફેદ કલરનુ બર્ગમેન મોપેડ પર આવી પાર્સલ લઇ જશે. જે ટેમ્પો લઈને ઊભા હતા અને દરમિયાનમાં પોલીસે તેમના આ ટેમ્પામાં તપાસ દારૂ મળી આવ્યો હતો. પોલીસે માલ જપ્ત કરી ટેમ્પો ચાલકને જવા દીધોટેમ્પાના ડ્રાઇવર આ મુદ્દામાલ વિશે કંઈ જાણતા ન હોવાના કારણે તેમને પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને ટેમ્પા સાથે જવા દીધા હતા. વિદેશી દારૂનો જથ્થો ટ્રાન્સપોર્ટમાં મંગાવીને ત્યારબાદ પોર્ટર મારફતે કુબેરનગર વિસ્તારમાં મંગાવ્યો હતો. પોલીસે કુલ 960 જેટલી બોટલો જપ્ત કરી દારૂ મંગાવનાર અને મોકલનાર બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
છોટા ઉદેપુર જિલ્લામાં મોડી સાંજે ભારે પવન અને વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ વાવાઝોડામાં ભાજપના પ્રદેશ પ્રમુખના આગામી કાર્યક્રમ માટે તૈયાર કરાયેલો ડોમ ધરાશાયી થઈ ગયો હતો. જિલ્લાના પાવીજેતપુર, બોડેલી, કવાંટ અને નસવાડી જેવા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયા બાદ ઝરમર વરસાદ વરસ્યો હતો. જ્યારે સંખેડા, બહાદરપુર અને છોટા ઉદેપુર ખાતે ભારે વાવાઝોડું અને ત્યારબાદ ધોધમાર વરસાદ નોંધાયો હતો. આવતીકાલે સવારે 9 વાગ્યે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છોટા ઉદેપુરની મુલાકાત લેવાના છે. તેમના કાર્યક્રમ માટે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક મોટો ડોમ ઊભો કરવામાં આવ્યો હતો, જે ભારે વાવાઝોડામાં તૂટી પડ્યો હતો. ભારે પવન ફૂંકાવાને કારણે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેના પગલે સ્થાનિક જનતાને અંધારાનો સામનો કરવો પડ્યો હતો.
ગોધરા મહુલીયા ચોકડી પાસે ઈકો-બાઈક અકસ્માત:એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત, હોસ્પિટલમાં દાખલ
ગોધરાના મહુલીયા ચોકડી પાસે આજે એક ઈકો કાર અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા તાલુકાના આંગડિયા ગામના રહેવાસી અલ્પેશભાઈ મોહનભાઈ શાકભાજી લેવા મહુલીયા ગામે ગયા હતા. શાકભાજી લઈને તેઓ પોતાની બાઈક પરત ઘરે જઈ રહ્યા હતા. તે સમયે મહુલીયા ચોકડી પાસે સામેથી આવી રહેલી એક ઈકો કાર સાથે તેમની બાઈક અથડાઈ હતી. આ અકસ્માતમાં અલ્પેશભાઈને મોઢા અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ગાંધીનગર શહેરમાં વસતા પાલતુ શ્વાન પ્રેમીઓ અને માલિકો માટે મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને પશુઓના વ્યવસ્થિત સંચાલન માટે શરૂ કરવામાં આવેલી પેટ ડોગ રજિસ્ટ્રેશન પ્રક્રિયાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે શહેરના નાગરિકો આગામી 15 એપ્રિલ, 2026 સુધી પોતાના પાલતુ શ્વાનનું સત્તાવાર રજિસ્ટ્રેશન કરાવી શકશે. હજુ પણ અનેક માલિકોના રજિસ્ટ્રેશન બાકીગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાલતુ શ્વાનના રજિસ્ટ્રેશનની મુદત 15 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. અગાઉ મહાનગરપાલિકા દ્વારા આ પ્રક્રિયા માટે 90 દિવસની મુદત નક્કી કરવામાં આવી હતી. આ અગાઉનો નિર્ધારિત સમયગાળો 15 ડિસેમ્બર, 2025થી શરૂ થઈને 16 માર્ચ, 2026 સુધીનો હતો. જોકે, હજુ પણ અનેક માલિકો રજિસ્ટ્રેશનથી વંચિત હોવાનું જણાતા અને લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને તંત્રએ આ મુદ્દત લંબાવવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધીના આંકડાઓ મુજબ ગાંધીનગરના જાગૃત નાગરિકોએ આ ઝુંબેશમાં સારો પ્રતિસાદ આપ્યો છે અને 527થી વધુ લોકોએ પોતાના પાલતુ શ્વાનનું સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. ફોર્મ ફરજિયાત જમા કરવાનું રહેશેઆ અંગે મનપા સૂત્રોએ જણાવ્યું કે, અરજદારો ઓનલાઈન માધ્યમથી ફોર્મ ડાઉનલોડ કરી શકશે, જેનાથી પ્રક્રિયામાં સરળતા રહેશે. જોકે, ફોર્મ ભર્યા બાદ અરજદારે પોતે રૂબરૂ મહાનગરપાલિકાની કચેરી ખાતે જઈને જરૂરી દસ્તાવેજો સાથે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ પ્રક્રિયા માટે કેટલાક મહત્વના પુરાવાઓ ફરજિયાત કરવામાં આવ્યા છે. વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવવા લોકોને અપીલજે અન્વયે અરજદારનું લેટેસ્ટ ટેક્સ બિલ, કોઈપણ એક સરકારી ઓળખપત્ર, લાઈટ બિલ અથવા ગેસ બિલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શ્વાનની સુરક્ષા અને જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને માન્ય વેટેનરી ડોક્ટર દ્વારા આપવામાં આવેલું એન્ટીરેબીઝ વેક્સિનનું સર્ટિફિકેટ રજૂ કરવું અનિવાર્ય છે. ડોક્યુમેન્ટેશનમાં પાલતુ શ્વાનનો ફોટો, માલિકનો ફોટો તેમજ શ્વાનને રાખવાની જગ્યાનો ફોટો પણ સાથે રાખવો પડશે. મહાનગરપાલિકાએ તમામ શ્વાન માલિકોને અપીલ કરી છે કે, આ વધારાની મુદતનો લાભ લઈ વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી લેવું, જેથી ભવિષ્યમાં કોઈ કાયદાકીય મુશ્કેલી ન સર્જાય.
નવસારી કોંગ્રેસમાં સામૂહિક રાજીનામાં:શહેર પ્રમુખની નિમણૂક સામે અનેક પદાધિકારીઓએ પક્ષ છોડ્યો
નવસારીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે રાજકારણ ગરમાયું છે. ભાજપમાં આંતરિક અસંતોષ બાદ હવે કોંગ્રેસમાં પણ મોટું ગાબડું પડ્યું છે. નવસારી શહેર પ્રમુખની નિમણૂકને લઈને સર્જાયેલા વિવાદમાં જિલ્લા અને શહેર કોંગ્રેસના અનેક પદાધિકારીઓએ સામૂહિક રાજીનામાં આપ્યા છે, જેનાથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. આ વિવાદ દીપક બારોટની નવસારી મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે 25 ફેબ્રુઆરી, 2026ના રોજ થયેલી વરણીને કારણે સર્જાયો છે. આ નિમણૂકથી પાયાના કાર્યકરો અને જૂના નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજીનામું આપનારા નેતાઓએ આક્ષેપ કર્યો છે કે દીપક બારોટે ભૂતકાળમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી છે અને ચૂંટણી સમયે પક્ષને હરાવવા માટે પ્રયાસો કર્યા હોવા છતાં તેમને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. નારાજ નેતાઓએ રાહુલ ગાંધીના 'સ્લીપર સેલ' (ગદ્દારો)ને પક્ષમાંથી દૂર કરવાના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, જ્યારે રાહુલ ગાંધી પક્ષમાંથી 'સ્લીપર સેલ'ને દૂર કરવાની વાત કરી રહ્યા છે, ત્યારે નવસારીમાં પક્ષ વિરોધી કામ કરનારાઓને હોદ્દા આપવાનો નિર્ણય પક્ષ માટે આત્મઘાતી સાબિત થશે. આ નિર્ણયથી પક્ષને મોટું નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ઈમેલ મારફતે રાજીનામાં મોકલનારાઓમાં મુખ્યત્વે માજી પ્રદેશ મંત્રી અને માજી નવસારી શહેર પ્રમુખ ધર્મરાજ એચ. માળી, નવસારી શહેર સમિતિના મહામંત્રી નેહલભાઈ પટેલ, પૂર્વ વોર્ડ પ્રમુખ નિહાર એસ. મહેતા, યુથ કોંગ્રેસના હોદ્દેદારો અને અન્ય પદાધિકારીઓ તથા કાર્યકરોનો સમાવેશ થાય છે. ગઈકાલે સુરતથી આવેલા નિરીક્ષક ધનસુખ રાજપૂત સમક્ષ પણ કાર્યકરોએ ઉગ્ર રજૂઆત કરી હતી, પરંતુ નિરીક્ષકે રાજીનામાં સ્વીકારવાનો ઇનકાર કરતા આખરે તમામ નેતાઓએ પ્રદેશ પ્રમુખને પોતાના રાજીનામાં મોકલી આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગત નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાં વ્યાપેલા આંતરિક જૂથવાદને કારણે ૫૨ બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી હતી. વર્ષોથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક કલહ સપાટી પર આવતા, કોંગ્રેસના આંતરિક ઝઘડાને કારણે ભાજપ વધુ મજબૂત બની રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. હવે જોવાનું એ રહેશે કે હાઈ કમાન્ડ આ સ્થિતિને નિયંત્રિત કરવા માટે શું પગલાં ભરે છે.
માંજલપુરમાં સાંઈ અને જલારામ મંદિરમાં ચોરી:તસ્કરો તાળુ તોડી દાન પેટી ઉઠાવી ગયા, પોલીસ સામે પડકાર
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બે મંદિરમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. અહીંયા આવેલા સાંઈ મંદિરમાં ચોરીની ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે. તસ્કરે મંદિરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો અને દાન પેટીમાં રહેલા રૂપિયા 1,50,000ની રકમ ઉઠાવી ફરાર થઈ જતા આ મામલે ફરિયાદ નોધવામાં આવી છે. આ સાથે આજ દિવસે જલારામ મંદિરમાં પણ ચોરીની ઘટના સામે આવી છે. બંને ચોરીની ઘટનાઓમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બે મંદિરમાં ચોરીઆ ચોરીની ઘટના અંગે મંદિરના પ્રમુખ આનંદભાઈ ભગવાનદાસ સોનવણેએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, માંજલપુર વિસ્તારમાં આવેલા જ્યુપીટર ચાર રસ્તા સુસેન પાસે સાઈ મંદિર આવેલું છે. તેઓ છેલ્લા 22 વર્ષથી આ મંદિરના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. મંદિરમાં સ્ટેનલેસ સ્ટીલની દાન પેટી રાખવામાં આવી હતી. દર મહિને આ પેટી ખોલીને રકમ બેંકમાં જમા કરાવવામાં આવે છે. તસ્કર દાનપેટી ઉઠાવી ગયા હતાગત 13 માર્ચના રોજ મંદિરના મહારાજ નૈનેશભાઈ દત્તાત્રેયભાઈ ત્રિવેદીએ મંદિરનો દરવાજો બંધ કરીને ઘરે જતા રહ્યા હતા. બીજે દિવસે સવારે 6 વાગ્યે મહારાજ મંદિરે પહોંચ્યા ત્યારે દરવાજાનું તાળું તોડેલું જોવા મળ્યું હતું. તેમણે તરત આનંદભાઈને ફોન કર્યો હતો. આનંદભાઈ તાત્કાલિક સ્થળે પહોંચ્યા અને જોયું કે ચોરે તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને દાન પેટી ચોરીને ભાગી ગયો હતો. પેટીમાં રાખેલી આશરે રૂ.1.50 લાખની રોકડ રકમ ગુમ થઈ ગઈ હતી. આ મામલે માંજલપુર પોલીસે ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બંને બનાવમાં એક જ ટોળકી હોવાનું અનુમાનઆ સાથે માંજલપુર સ્મશાન પાસે આવેલા જલારામ મંદિરમાં આજ દિવસે ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં પણ દાનપેટી ચોરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ બંને બનાવમાં એકજ ટોળકી હોય તેવું હાલમાં સામે આવ્યું છે અને પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડના તિથલ રોડ પર આવેલી એક હોટલમાં ફિલ્મ શૂટિંગ દરમિયાન અમેરિકન નાગરિકતા ધરાવતી એક મહિલા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર સાથે છેડતીનો બનાવ બન્યો છે. આ મામલે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફિલ્મના અભિનેતા સાહિલ ગોયલ, ડિરેક્ટર મૃગેશ ઠાકોર અને પાર્થ રાવત વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. ફરિયાદી મહિલા (ઉંમર 39), જે ફિલ્મ ઉદ્યોગમાં કાસ્ટિંગ ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે કાર્યરત છે, તેમણે જણાવ્યું કે માર્ચ 2025માં ઇન્સ્ટાગ્રામ દ્વારા તેમની મુલાકાત મૃગેશ ઠાકોર સાથે થઈ હતી. મૃગેશની આગામી ફિલ્મ ‘How to Feed A Soul’ માટે તેમને એસોસિયેટ પ્રોડ્યુસર અને આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.આ ફિલ્મનું શૂટિંગ વલસાડના સી સેન્ડ એપાર્ટમેન્ટ્સમાં ચાલી રહ્યું હતું. શૂટિંગમાં સામેલ તમામ કલાકારો અને ક્રૂ મેમ્બર્સ તિથલ રોડ સ્થિત શ્રીલેખા હોટલમાં રોકાયા હતા.5 ડિસેમ્બર 2025ના રોજ શૂટિંગ પૂર્ણ થયા બાદ પરત ફરતી વખતે મહિલા પ્રોડ્યુસર તેમના કિંમતી ચશ્મા કારમાં ભૂલી ગયા હતા. જ્યારે તેઓ ચશ્મા લેવા માટે કાર પાસે ગયા, ત્યારે કારમાં હાજર અભિનેતા સાહિલ ગોયલે તેમની સાથે અભદ્ર વર્તન કર્યું અને શારીરિક છેડતી કરી હતી.મહિલાએ આ ઘટના અંગે ડિરેક્ટર મૃગેશ ઠાકોર અને પાર્થ રાવતને ફરિયાદ કરી, ત્યારે તેમણે મદદ કરવાને બદલે સાહિલનો પક્ષ લીધો હતો. ફરિયાદમાં ઉલ્લેખ છે કે પાર્થ રાવતે મહિલાને ધમકાવતા કહ્યું હતું કે, “શું તને ખબર છે એસોલ્ટ (હુમલો) કોને કહેવાય?” આ ઉપરાંત, આરોપી સાહિલે વોટ્સએપ પર અત્યંત અશ્લીલ મેસેજ મોકલી મહિલાનું અપમાન કર્યું હતું.પીડિત મહિલાએ શરૂઆતમાં મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટના વલસાડની હોવાથી માટુંગા પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોંધીને કેસ વલસાડ સિટી પોલીસને ટ્રાન્સફર કર્યો છે. વલસાડ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 131, 3(5), 48, 74, 75(1), 79 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કેસમાં આરોપી તરીકે અભિનેતા સાહિલ ગોયલ, ડિરેક્ટર/લેખક મૃગેશ ઠાકોર અને સહાયક ડિરેક્ટર પાર્થ રાવતના નામનો સમાવેશ થાય છે.
ઐતિહાસિક કડાકા બાદ વાયદા બજારમાં ફરી તેજી! સોનામાં 3350 તો ચાંદીમાં 8540નો ઉછાળો
Gold Price Today: સપ્તાહની શરૂઆતમાં સોનાના ભાવમાં આવેલા મોટા કડાકા બાદ શુક્રવારે બજારમાં જોરદાર રિકવરી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોનાના ભાવમાં સવારના કારોબારમાં જ 2%થી વધુનો ઉછાળો નોંધાયો હતો, જેનાથી રોકાણકારોને મોટી રાહત મળી છે. જોકે, બજારમાં હજુ પણ ભારે અસ્થિરતાનો માહોલ છે અને આગળની દિશા અંગે અનિશ્ચિતતા યથાવત છે. સોનામાં ₹3350 અને ચાંદીમાં ₹8540નો તોતિંગ ઉછાળો શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.
ધ્રુવી કામધારે સિવિલ જજની પરીક્ષામાં સફળતા મેળવી.:રાજ્યભરના 103 ઉમેદવારોમાં 35મો રેન્ક પ્રાપ્ત કર્યો
વલ્લભ વિદ્યાનગર સ્થિત આર.એન. પટેલ ઇપ્કોવાલા સ્કૂલ ઓફ લૉ એન્ડ જસ્ટિસના પૂર્વ વિદ્યાર્થી ધ્રુવી કામધારે સિવિલ જજની પરીક્ષામાં સફળતા મેળવી છે. તેમણે રાજ્ય સ્તરે લેવાયેલી આ સ્પર્ધાત્મક પરીક્ષામાં કુલ 103 સફળ ઉમેદવારોમાંથી 35મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. ધ્રુવી કામધાર બીબીએ એલએલબી (હોન્સ.) 2019–20 બેચના વિદ્યાર્થી છે. તેમની આ સિદ્ધિ કાનૂની ક્ષેત્રમાં તેમની કારકિર્દી માટે મહત્વપૂર્ણ છે. આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ. નિષા નાયરએ ધ્રુવીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, ધ્રુવીની સફળતા સંસ્થામાં અપાતા શિક્ષણની ગુણવત્તા દર્શાવે છે. તેમની આ સિદ્ધિ વર્તમાન વિદ્યાર્થીઓ અને કાનૂની ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે પ્રેરણાદાયક બની રહેશે.
વલ્લભ વિદ્યાનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજ સ્ટડીઝ એન્ડ એપ્લાઇડ સોશિયલ સાયન્સિસ (ILSASS) ની વિદ્યાર્થીની દિવ્યાંકી હાડિયાની સિનિયર વુમન્સ આણંદ જિલ્લા ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) દ્વારા આયોજિત સિનિયર વુમન્સ ટૂર્નામેન્ટમાં આણંદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. દિવ્યાંકી હાડિયા એમ.એ. ક્લિનિકલ સાયકોલોજીમાં અભ્યાસ કરી રહી છે. આ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ આગામી 11 એપ્રિલથી 18 એપ્રિલ 2026 દરમિયાન ભરૂચ ખાતે યોજાશે. આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ. અર્ચના સી. નરહારીએ દિવ્યાંકીને અભિનંદન પાઠવ્યા હતા. સંસ્થાની સ્પોર્ટ્સ કમિટી અને સમગ્ર પરિવારે તેને આગામી મેચોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે શુભકામનાઓ પાઠવી છે.
વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ:જોરાવરનગર સ્થિત સવા આયુષ હોસ્પિટલ ખાતે 22 માર્ચના દિવસે આયોજન કરાયું
સુરેન્દ્રનગરના જોરાવરનગર સ્થિત સવા આયુષ હોસ્પિટલ ખાતે 22 માર્ચ, રવિવારે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું છે. આ પ્રસંગે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાનું સન્માન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલના નવા આધુનિક વિભાગોનું પણ ઉદ્ઘાટન થશે. ગુજરાત સરકારના નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા, વઢવાણ તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ વસેવલીયા અને સુરેન્દ્રનગર-વઢવાણ શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલના હસ્તે આ વિભાગો ખુલ્લા મુકાશે. ઉદ્ઘાટન થનારા આધુનિક વિભાગોમાં રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિભાગ, લેઝર દ્વારા પથરીની સર્જરી (RIRS) વિભાગ અને એન્ડોસ્કોપિક સ્પાઈન સર્જરી વિભાગનો સમાવેશ થાય છે. આ વિભાગોમાં રોબોટ દ્વારા જોઈન્ટ સર્જરી, લેઝર ટેકનોલોજીથી પથરીની સારવાર અને દૂરબીન દ્વારા ઓછા વાઢકાપ સાથે સ્પાઇન સર્જરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનશે. કેમ્પમાં ન્યુરોસર્જરી, યુરોલોજી, મેડિસિન, જનરલ સર્જરી, પીડિયાટ્રિક, ENT, ઓર્થોપેડિક, ગાયનેક અને આંખના વિભાગોમાં નિષ્ણાત ડોકટરો સેવા આપશે. દર્દીઓને ડોક્ટરની સલાહ, જરૂરી તપાસ અને લેબોરેટરી ટેસ્ટ સહિતની તબીબી સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. કેમ્પ દરમિયાન, પ્રથમ 50 દર્દીઓ માટે મોતીયાના ઓપરેશન નિઃશુલ્ક કરાશે. સવા આયુષ હોસ્પિટલ ઝાલાવાડ વિસ્તારની સૌપ્રથમ અને એકમાત્ર NABH માન્યતા પ્રાપ્ત હોસ્પિટલ છે.
દાહોદ શહેર અને સમગ્ર જિલ્લાના જરૂરિયાતમંદ નાગરિકો માટે આજનો દિવસ આશાનું નવું કિરણ લઈને આવ્યો છે. અંધાપા નિવારણના મિશન સાથે કાર્યરત 'દ્રષ્ટિ નેત્રાલય' દ્વારા આજથી એટલે કે તારીખ 20-03-2026 થી એક મહિના સુધી ચાલનારા ભવ્ય 'મોતિયા મફત ઓપરેશન અને નિદાન કેમ્પ'નો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. આ નેત્રયજ્ઞ આગામી 20-04-2026 સુધી અવિરત ચાલશે, જેમાં છેવાડાના માનવીને પણ આધુનિક ટેકનોલોજીથી આંખની સારવાર પૂરી પાડવામાં આવશે. રોજ સવારે 8:00 વાગ્યાથી નોંધણી શરૂ થશે દાહોદના ચાકલીયા રોડ પર GIDC પાસે આવેલી દ્રષ્ટિ નેત્રાલય હોસ્પિટલ ખાતે આજથી દર્દીઓનો ધમધમાટ જોવા મળશે. કેમ્પ દરમિયાન દરરોજ સવારના 8:00 થી બપોરના 1:00 વાગ્યા સુધી નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવશે. આ કેમ્પમાં માત્ર સામાન્ય મોતિયા જ નહીં, પરંતુ ઝામર, ત્રાંસી આંખ, પડદાની તકલીફો અને બાળકોમાં જોવા મળતા જટિલ બાળ મોતિયાનું પણ નિદાન કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. સંપૂર્ણ સુવિધા: રહેવા-જમવાથી લઈ દવાઓ સુધી બધું જ મફત હોસ્પિટલના પ્રબંધક ડાયરેક્ટર ડો. શ્રેયાબેન શાહના જણાવ્યા અનુસાર, આ કેમ્પનો હેતુ કોઈ પણ વ્યક્તિ પૈસાના અભાવે દ્રષ્ટિ વિહોણી ન રહે તેવો છે. જે દર્દીઓને ઓપરેશનની જરૂર જણાશે, તેમને અત્યંત આધુનિક અને અધતન સગવડોથી સજ્જ દ્રષ્ટિ નેત્રાલય ખાતે દાખલ કરવામાં આવશે. ઓપરેશન બાદ દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાના નેત્રમણી (Lens) બેસાડવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન દર્દીના રહેવા, જમવા અને દવાનો તમામ ખર્ચ હોસ્પિટલ દ્વારા ભોગવવામાં આવશે. દર્દીઓએ કયા દસ્તાવેજો લાવવા? આ સેવાનો લાભ લેવા આવનાર દરેક દર્દીએ પોતાની સાથે આધાર કાર્ડ અને રેશન કાર્ડની ઝેરોક્ષ નકલ લાવવી અનિવાર્ય છે. વહીવટી સરળતા અને દર્દીની સારસંભાળ માટે દરેક દર્દીની સાથે એક સગાનું હોવું ફરજિયાત રાખવામાં આવ્યું છે. ડો. શ્રેયાબેન શાહએ વધુમાં ઉમેર્યું હતું કે, અમારો લક્ષ્યાંક દાહોદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના છેવાડાના માણસ સુધી પહોંચવાનો છે. આજથી શરૂ થઈ રહેલા આ કેમ્પમાં લોકો સ્વયંભૂ જોડાઈને અંધાપા મુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બને તે જરૂરી છે. આ આયોજનથી પછાત અને આદિવાસી વિસ્તારોના ગરીબ પરિવારોમાં વ્યાપક ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વડોદરા શહેરની મનીષા ચોકડી પાસે આવેલ જલધારા કોમ્પલેક્ષમાં MS યુનિવર્સિટીમાં બીએસસીનો અભ્યાસ કરતા સ્ટુડન્ટ પર હુમલો થયો હતો, યુવકે કહ્યું હતું કે, મેં તેમને સમજાવવાની કોશિશ કરી કે હું અહીં લડવા નથી આવ્યો, પણ તેમણે મારું કંઈ જ સાંભળ્યું નહીં હું નીચે પડી ગયો ત્યારે તેમણે મને લાતોથી માર્યો હતો. મેં આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તાંદલજા વિસ્તારમાં આવેલા લેન્ડમાર્ક બુશય-2માં રહેતા આફતાફહુસેન યુસુફભાઈ શેખ (ઉ.વ. 25)ની ફરિયાદ પ્રમાણે તે એમ.એસ. યુનિવર્સિટીમાં B.Scના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, તેઓ ગત 18 માર્ચની રાત્રે આશરે 11:30 વાગ્યે પોતાના મિત્ર સાથે મનીષા ચોકડી નજીક આવેલા જલધારા કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં ઉભા રહી વાતચીત કરતા હતા. તે દરમિયાન કોમ્પ્લેક્ષના પ્રથમ માળે આવેલી “એક્સ્ટ્રા ઓર્ડીનરી” કપડાની દુકાનના માલિક ઉઝેર મેમણે તેમને ત્યાં ઉભા ન રહેવા જણાવ્યું હતું. ત્યારબાદ તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. જોકે, પોતાની બાઈક પાર્કિંગમાં હોવાને કારણે આફતાફહુસેન ફરી ત્યાં ગયા હતા. આ દરમિયાન આફતાફહુસેનનવા અન્ય મિત્ર જાવેદ કપડાં ખરીદવા માટે દુકાનમાં આવ્યો હોવાથી,આફતાફહુસેન દુકાનની બહાર ઉભા હતા. ત્યારે ઉઝેર મેમણ બહાર આવી ફરીથી તેમને ત્યાં ન ઊભા રહેવા કહી ઉશ્કેરાયા હતા અને ગાળાગાળી કરીને હુમલો કર્યો હતો. ત્યારબાદ જાહિદ મેમણ અને રેહાન પણ દુકાનમાંથી બહાર આવી ફરિયાદી સાથે મારામારી કરવા લાગ્યા હતા અને ગડદાપાટુનો માર માર્યો હતો. સ્થળ પર હાજર લોકોએ વચ્ચે પડી વધુ મારથી બચાવ્યા હતા. આ હુમલામાં આફતાફહુસેનને જમણા હાથની વચ્ચેની મોટી આંગળી, માથા તથા પીઠના ભાગે ઇજાઓ પહોંચી હતી. બાદમાં તેમના પિતાને જાણ કરી તેમને ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે હાથની આંગળીમાં ફ્રેક્ચર થયાનું જણાવ્યું હતું. હાલ ફરિયાદીની સારવાર ચાલુ છે અને આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અકોટા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આફતાબ શેખ એ જણાવ્યું હતું કે, મને ખબર નથી કે સામેવાળાને શું વાંધો પડ્યો, પણ તેમણે 10-12 લોકોને બોલાવી રાખ્યા હતા. જેમાં હુઝેર મેમણ, તેનો પિતરાઈ ભાઈ રેહાન અને જાહિદ મેમણ નામના વ્યક્તિઓ સામેલ હતા. મેં તેમને સમજાવવાની કોશિશ કરી કે હું અહીં લડવા નથી આવ્યો, પણ તેમણે મારું કંઈ જ સાંભળ્યું નહીં. તેમણે મારા મોઢા પર, પીઠ પર અને માથાના ભાગે માર મારવાનું શરૂ કર્યું હતું. હું જ્યારે નીચે પડી ગયો ત્યારે તેમણે મને લાતોથી માર્યો. જેના કારણે મને માથામાં ગંભીર ઈજાઓ થઈ છે અને એક આંગળીમાં ફ્રેક્ચર પણ થયું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારી કોઈ જ દુશ્મની નહોતી. હું તેમને ઓળખતો જરૂર હતો, મને તો એ જ સમજાતું નથી કે તેમણે મને કેમ માર્યો? તમે સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી શકો છો, હું તો માત્ર ત્યાં ઊભો રહીને મારા મિત્ર સાથે વાત કરી રહ્યો હતો. મેં આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના સમીયાલા વિસ્તારની 65 વર્ષીય ધનુબેન રાઇસિંગભાઇ ઓઢ (રહે. સમીયાલા બસ સ્ટેશનવાળું ફળિયું, તા. જિ. વડોદરા)ને બે અજાણ્યા ગઠિયાઓ દાનની લાલચ આપીને છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના દરમિયાન તેમની પાસેથી આશરે 2 લાખ 85 હજાર રૂપિયાની કિંમતની બે સોનાની બંગડીઓ ચોરી થતા વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધા જમાઈ સાથે ખરીદી કરવા ગયા હતાંઆ બનાવમાં વૃદ્ધા ધનુબેન એક છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. ગતરોજ બપોરના સમયે ધનુબેન તેમના જમાઈની એક્ટિવા પર મગળબજાર પદમાવતી શોપિંગ સેન્ટર ખાતે કટલરીનો સામાન ખરીદવા ગયા હતા. જમાઈએ તેમને ઉતારીને પરત જતા રહ્યા હતા. સામાન ખરીદી વૃદ્ધા પરત ફર્યા હતા. ગઠિયાઓએ વૃદ્ધાને દાન આપવાનું કહી ભોળવ્યાંવૃદ્ધા પરત આવી લહેરીપુરા ગેટ પાસે ચોકમાં ઊભા હતા, ત્યારે બે અજાણ્યા વ્યક્તિ તેમની પાસે આવ્યા અને પૂછ્યું કે, તમે ક્યાં રહો છો? ધનુબેને સમીયાલા રહેતી હોવાનું જણાવતાં એક વ્યક્તિએ કહ્યું કે, અહીં દાન આપવા આવ્યા છે, તમે અમારી સાથે આવો. વિશ્વાસમાં આવીને ધનુબેન તેમની સાથે ચાલ્યા અને એચ.ડી.એફ.સી. બેંકની બાજુમાં સીડી પાસે બેઠા હતા. કિંમતી સામાન ઉતારવાનું કહેતા વૃદ્ધાએ બંગડી ઉતારી દીધીત્યાં બેસીને એક વ્યક્તિએ કહ્યું કે, દાન આપનારાઓ તમને ચેક કરશે, જો તમારી પાસે કોઈ કિંમતી વસ્તુ જોવા મળશે તો દાન નહીં આપે. તેથી તમારી પહેરેલી સોનાની બંગડીઓ કાઢી નાખો. ધનુબેને તેમની વાતમાં આવીને બંને સોનાની બંગડીઓ કાઢીને તેઓના નાના પર્સમાં મૂકી અને તે પર્સને પોતાની ખરીદીના થેલામાં મૂકી દીધો હતો. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરીઆ પછી ઠગોએ વાતો કરીને ધનુબેનનું ધ્યાન ચુકાવ્યું અને દાન આપનારા આવે તે પહેલાં જ બંનેએ મળીને તે થેલો લઈ લીધો અને ભાગી ગયા હતા. આ ઘટનામાં ભોગ બનનાર વૃદ્ધાની બે સોનાની બંગડી જેની કિંમત રૂપિયા 2,85,100ની હતી. આ મામલે વૃદ્ધાએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે બે અજાણ્યા ઈસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બોટાદ માલધારી સમાજ દ્વારા સ્વ. મેહુલભાઈ જોગરાણા (ઢાંકણીયા) અને સ્વ. રાજેન્દ્રભાઈ સાંબડ (બોટાદ) ના સ્મરણાર્થે ઓક્શન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 20 માર્ચ, 2026 ના રોજ સવારે 10:00 કલાકે બોટાદના સરકારી હાઈસ્કૂલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આયોજકો દ્વારા આમંત્રિત મહેમાનો, સમાજના આગેવાનો અને પત્રકાર મિત્રોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સમાજને એક મંચ પર લાવવાનો અને યુવાનોને રમતગમત પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે. ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને 'મેન ઓફ ધ મેચ' અને 'મેન ઓફ ધ સિરીઝ' જેવા ઇનામો આપી સન્માનિત કરવામાં આવશે. આનાથી ખેલાડીઓનો ઉત્સાહ વધશે. આ ટુર્નામેન્ટના મુખ્ય આયોજકોમાં જીજ્ઞેશભાઈ બોળીયા, રોહિતભાઈ જોગરાણા અને દિપકભાઈ રબારી (ભાણો) નો સમાવેશ થાય છે. લાઈવ ઇવેન્ટના સપોર્ટર્સ તરીકે મેહુલભાઈ રબારી, કાળુભાઈ લામકા, નરેશભાઈ લામકા, ભરતભાઈ અડવાળ અને ગૌરાંગભાઈ લામકા સેવા આપશે.
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મારામારીના બનાવો વધી રહ્યા છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. અટલાદરા વિસ્તારમાં અક્ષર ચોક પાસે રહેતા એક યુવક પર જૂની અદાવત રાખીને ચાર શખસે જીવલેણ હુમલો કર્યો હતો. લોખંડના પાઇપ અને લાકડાના ડંડા વડે થયેલા આ હુમલામાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને ગોત્રી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. શું હતી સમગ્ર ઘટના?આ ઘટના અંગે ભોગ બનનાર ઈજાગ્રસ્ત ધવલ રમેશભાઈ ચૌહાણ દ્વારા અટલાદરા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, તેઓ અલ્કાપુરીમાં મોબાઈલ ટાવરમાં ટેકનિશિયન તરીકે કામ કરે છે. અગાઉ જ્યારે તે વાસણા રોડ પર રહેતો હતો, ત્યારે પડોશમાં રહેતા તરુણ ઠાકોર સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. આરોપીઓ ફોન કરી ક્યાં હોવાનું પૂછ્યુંગઈ 15 માર્ચના રોજ રાત્રે સાડા નવેક વાગ્યે તરુણ ઠાકોરે ધવલને ફોન કરીને તે ક્યાં છે, તેમ પૂછ્યું હતું. ધવલે પોતે સનફાર્મા રોડ પર જ્યુપિટર હોસ્પિટલ પાસે હોવાનું જણાવતા તરુણ ઠાકોર તેના અન્ય ત્રણ મિત્ર સાથે ત્યાં ધસી આવ્યો હતો. આ મારામારીમાં આરોપી તરુણ ઠાકોર, ભાવેશ પરમાર, વિક્રમ ઉર્ફે એરટેલ નાયક અને રિકેશ બારીયા નામના ચાર સમાવેશ છે. લોખંડની પાઈપ ફટકારતા લોહીલુહાણઆ ઘટનામાં ઇજાગ્રસ્ત ધવલ અને તેમના મિત્ર સુનિલ માળી જ્યારે બાંકડા પર બેઠા હતા, ત્યારે આ શખસો મોપેડ લઈને આવ્યા હતા અને ગાળાગાળી શરૂ કરી હતી. રિકેશ બારીયાએ ધવલને ધક્કો મારી નીચે પાડી દીધો હતો. ત્યારબાદ તરુણ ઠાકોરે તેના મોપેડમાંથી લોખંડની પાઇપ કાઢી ધવલના માથામાં ફટકારી દીધી હતી. જ્યારે મિત્ર સુનિલ તેને છોડાવવા વચ્ચે પડ્યો તો વિક્રમ ઉર્ફે એરટેલ નાયકે તેને લાકડાના ડંડા વડે ડાબા હાથ પર ફટકો મારી ઈજા પહોંચાડી હતી. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં ધવલને જોઈ તમામ આરોપીઓ સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરીકોઈ અજાણ્યા રાહદારીએ 108ને જાણ કરતા બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોત્રી જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને સારવાર આપવામાં આવી રહી છે. આ મામલે અટલાદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચૈત્રમાં ચક્રવાત:પવનના રૌદ્ર રૂપ અને માવઠાએ કચ્છને ધમરોળ્યું
સમગ્ર રાજ્ય સહિત કચ્છ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આગાહી ખેડૂતો માટે મુસીબત સાબિત થઈ રહી છે. 18મી માર્ચની મધ્યરાત્રિથી જ કચ્છના વાતાવરણમાં આવેલા ભયાનક પલટાએ સમગ્ર જિલ્લાને બાનમાં લીધો હતો. 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ગતિએ ફૂંકાયેલા પવને જાણે કુદરતનો પ્રકોપ ઉતાર્યો હોય તેમ અનેક સ્થળોએ ઘટાદાર વૃક્ષોને મૂળમાંથી ઉખેડી ફેંક્યા હતા, તો અનેક ગરીબ પરિવારોના આશરા સમાન ઘરના પતરાં કાગળની જેમ હવામાં ઉડી ગયા હતા. સાયક્લોનિક સર્ક્યુલેશન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે સર્જાયેલા આ માહોલમાં ઝાપટા રૂપી વરસાદે મુશ્કેલીમાં વધારો કર્યો હતો. દિવસ દરમિયાન અસહ્ય ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો માટે રસ્તા પર નીકળવું દુષ્કર બન્યું હતું. જોકે, કાળઝાળ ગરમીથી રાહત મળી છે, પરંતુ આ રાહત ખેડૂતો માટે ‘આફત’ બનીને આવી છે. હાલ સૌથી વરવી સ્થિતિ જગતના તાતની થઈ છે. હાલ ખેતરોમાં ઘઉં, જીરું, વરિયાળી,એરંડા અને રાયડો જેવા પાકો તૈયાર અવસ્થામાં ઉભા હતા. કમનસીબી એ છે કે, ભારે પવનના કારણે તૈયાર પાક જમીનદોસ્ત થઈ ગયો છે. જે ખેડૂતોએ પાકની કાપણી કરી લીધી હતી અને થ્રેસર મશીનની રાહ જોઈ રહ્યા હતા, તેમના પાકને વરસાદી ઝાપટાએ પલાળી દેતા પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. અબડાસાથી માંડીને રાપર સુધીના પંથકમાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો છે. આજે પણ કચ્છ સહિત બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાપર : મોમાઈમોરામાં કરાનો વરસાદ, તાલુકામાં પાક નુકશાની વાગડ વિસ્તારના રાપર તાલુકામાં ગત મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોમાં ચિંતા ફેલાવી છે. રામવાવ, ખેંગારપર, મોટી રવ, પ્રાથળ, ફતેગઢ, ગેડી, બાલાસર, ભીમાસર, બાદરગઢ અને નીલપર સહિતના ગામોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. મોમાઈમોરા ગામે બપોરે અચાનક કરા સાથે વરસાદ પડ્યો હતો. સ્થાનિક દયારામ મહારાજના જણાવ્યા મુજબ અંદાજે અડધો કલાક સુધી કરા વરસ્યા હતા, જેના કારણે ગામમાં લોકો અને બાળકો કરા એકત્ર કરતા નજરે પડ્યા હતા. આ કમોસમી વરસાદથી હાલ તૈયાર થયેલ વરિયાળી, ઈસબગુલ, જીરું, ઘઉં અને એરંડા સહિતના શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે. કેટલાક ખેતરોમાં પાણી ભરાતા સ્થિતિ વધુ ગંભીર બની છે. ખાસ કરીને ઈસબગુલ અને વરિયાળી પાકમાં નુકસાનની શક્યતા વધુ જણાઈ રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ભારે પવન, કરા અને વરસાદના ઝાપટાંથી ખેતી પર સીધી અસર પડી છે. લખપત : નરામાં 50થી વધુ મકાનોના છાપરા ઉડ્યા, વૃક્ષો-વીજપોલ ધરાશાયીલખપત તાલુકામાં બુધવારે મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા જોરદાર પવન સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું, જેના કારણે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. આંધી અને પવનના જોરથી વૃક્ષો, સાઇનબોર્ડ અને વીજ થાંભલાઓ ધરાશાયી થઈ ગયા હતા, જ્યારે કાચા મકાનોના છાપરા ઉડી જવાના બનાવો પણ સામે આવ્યા હતા. તાલુકામાં સૌથી વધુ અસર નરા વિસ્તારના પંજાબીવાંઢ અને ગુરુ નાનક નગરી વિસ્તારમાં જોવા મળી હતી, જ્યાં અંદાજે 50થી વધુ મકાનોના છાપરા ઉડી જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ ઘટનાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. આગેવાન તેમજ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રાજુભાઇ સરદારે નુકસાનીની માહિતી મેળવી હતી. દયાપર, ઘડુલી, દોલતપર, મેઘપર, બરંદા, મુધાન, ગુનેરી, વર્માનગર, કપૂરાશી, કોરિયાણી, છેર, સુભાષપર, માતાનામઢ અને કોટડા મઢ સહિતના વિસ્તારોમાં પણ ભારે પવનથી નુકસાન નોંધાયું હતું. આ મીની વાવાઝોડા બાદ બીજા દિવસે ગુરુવારે બપોરે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા લોકોની મુશ્કેલીમાં વધુ વધારો થયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં શેરીઓમાં પાણી વહી નીકળ્યા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ કમોસમી વરસાદના કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પવન અને વરસાદની દ્વિગુણ અસરને કારણે ખેડૂતો બેવડી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સાથે જ વીજપોલ અને ટ્રાન્સફોર્મરોને નુકસાન થતા વીજ પુરવઠા પર પણ અસર પડી છે
મીની વાવાઝોડાએ ખેડૂતોની વધારી ચિંતા:કચ્છમાં આજે પણ ઓરેન્જ એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાઇ શકે છે પવન
સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મીની વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે ખેડૂતો માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે પણ કચ્છ જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આગાહી મુજબ કચ્છ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, મોરબી, ગીર સોમનાથ અને દીવમાં 50 થી 70 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ભુજનું મહત્તમ તાપમાન એક જ દિવસમાં 6 ડિગ્રી ગગડીને 31.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે નલિયામાં 30.4 ડિગ્રી અને કંડલા પોર્ટ તેમજ એરપોર્ટ વિસ્તારમાં 32 ડિગ્રી તાપમાન રહેતા લોકોને કાળઝાળ ગરમીમાંથી તો રાહત મળી છે, પરંતુ તોફાની પવન અને વરસાદને કારણે ઉભા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂત આલમમાં ભારે ફાળ પડી છે. માતાના મઢ મંદિર પરિસરમાં બંધાયેલ મંડપ જમીન દોસ્ત થયો હતો. સાંય ગામે વીજળી પડતા છતમાં ખાડો પડ્યો રાપર તાલુકાના સાય ગામે રાત્રે લગભગ ત્રણ વાગ્યાના સમયે રહેણાંક વિસ્તારમાં એક મકાનની છત પર વીજળી પડતાં છતને નુકસાન પહોંચ્યું હતું અને તેમાં ખાડો પડી ગયો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ગાગોદર, સાય, કીડીયાનગર, કાનમેર અને રણ વિસ્તારની અનેક વાડીઓમાં ઉભા પાક પર કમોસમી વરસાદનો ભારે પ્રભાવ પડ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ખાસ કરીને ઈસબગુલ અને એરંડાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, પવન અને વરસાદના કારણે અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતા સ્થિતિ વધુ ગંભીર બની છે. કેટલીક જગ્યાએ બોર્ડ અને પતરાં ઉડી જવાના બનાવો પણ સામે આવ્યા છે. રવાપર પંથકમાં અડધાથી પોણો ઇંચ વરસાદ નખત્રાણા તાલુકાના રવાપર પંથકમાં બુધવારની મોડી રાત્રિએ તેજ પવન ફૂંકાયો હતો અને વરસાદના ઝરમર છાંટા પડ્યા હતા. ત્યારબાદ ગુરુવારે બપોરે બે વાગ્યાના અરસામાં ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદનું આગમન થયું હતું. જાણે ચોમાસું હોય તેમ જોરભેર શેરીઓમાંથી પાણી વહી નીકળ્યા હતા. સતત અડધો કલાક સુધી વરસેલા વરસાદના કારણે અડધો થી પોણો ઇંચ પાણી પડ્યું હતું અને ત્યારબાદ પણ ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો. પંથકના નાગવીરી, ઘડાણી, હરીપર, વિગોડી, આમારા, રતડીયા, નવાવાસ, લીફરી, વાલ્કા સહિતના વિસ્તારોમાં તેજ પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. માધાપરમાં ભારે પવનથી 2 વીજપોલ ધરાશાયી થયા માધાપર જુનાવાસના મતિયા કોલોની વિસ્તારમાં બે વીજપોલ ધરાશાયી થયા હતા. પીજીવીસીએલની સમયસુચકતાથી વરસાદ કે પવન શરૂ થયાની સાથે જ વીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો. સ્થાનિકોએ જાણ કરતા તાત્કાલિક પોલ બદલવાની કાર્યવાહી કરાઈ હતી.
પશ્ચિમ એશિયામાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વકરેલા યુદ્ધની અસર છેવાડાના માનવીના રસોડા સુધી પહોંચી છે. માંડવી શહેરમાં આવેલી ઇન્ડેન ગેસ એજન્સી પર ગેસના બોટલ લેવા માટે ગ્રાહકોને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવા છતાં ઘણા લોકોને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે. માંડવી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો સવારે 08:30 વાગ્યાથી ગેસ એજન્સી પર લાઈનો લગાવી દે છે. બપોર સુધી ઊભા રહ્યા બાદ પણ ગ્રાહકોને ગેસનો બોટલ મળશે કે નહીં તેની કોઈ ગેરંટી નથી. આ સ્થિતિને કારણે ગામડાઓમાંથી રિક્ષા ભાડા ખર્ચીને આવતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના સમય અને નાણાં બંનેનો વ્યય થઈ રહ્યો છે. લાઈનમાં ઊભેલા લોકોએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, “અમે સવારથી અહીં આવીને લાઈનમાં ઉભા હતા, અમારી આગળના લોકોને જથ્થો મળી ગયો અને અમારો નંબર આવ્યો ત્યારે જથ્થો પૂર્ણ થઇ જતા એજન્સીના શટર બંધ કરી દેવામાં આવ્યા હતા. આ મામલે ગેસ એજન્સીના સંચાલકોનું કહેવું છે કે, પુરવઠો ઓછો આવી રહ્યો છે. જેટલો જથ્થો ઉપલબ્ધ થાય છે તેનું વિતરણ તત્કાલ કરી દેવામાં આવે છે, પરંતુ બુકિંગની સંખ્યા સામે આવતો જથ્થો ઓછો હોવાથી આ અરાજકતા સર્જાય છે. ગુરુવારે તો સ્થિતી એટલી વિકટ બની હતી કે પોલીસને બોલવાની ફરજ પડી હતી.
માતાના મઢમાં ભક્તોની ભીડ:માતાનામઢમાં પ્રથમ નોરતે ભક્તોએ આઇ આશાપુરાના આશીર્વાદ લીધા
દેશ દેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢ ખાતે ગુરુવારથી શરૂ થયેલા ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે અંદાજે દસેક હજાર જેટલા માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા. સવારથી બપોર સુધી યાત્રિકોની વધુ સંખ્યા જોવા મળી હતી પરંતુ બપોર બાદ ભારે પવન તેમજ ગાજવીજ સાથે આવેલા વરસાદને કારણે ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો આદ્યશક્તિની આરાધના માટે શ્રેષ્ઠ માનવામાં આવતા ચૈત્રી નવરાત્રીના આરંભે જ માતાના મઢમાં મોટી સંખ્યામાં દર્શનાર્થી ઉમટ્યા હતા. બુધવારે મોડી રાત્રે ભારે પવનની આંધી ફુંકાયા બાદ બીજા દિવસે બપોરે ભારે ગાજવીજ સાથે પડેલા વરસાદને કારણે યાત્રિકોની સંખ્યા ઘટી હતી. મીની વાવાઝોડાને કારણે મંદિર પરિસરમાં મંડપ જમીનદોસ્ત થઈ ગયો હતો.
કુદરતનો મિજાજ બદલાયો:ભુજ સહિત પંથકમાં ધૂળની ડમરીઓ સાથે કમોસમી માહોલ
કચ્છના વાતાવરણમાં ગુરુવારે અચાનક આવેલો પલટો રણપ્રદેશની યાદ અપાવી ગયો હતો. ભુજ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આખો દિવસ ધૂળની ડમરીઓ ઉડતા જનજીવન પ્રભાવિત થયું હતું. બપોરના સમયે શરૂ થયેલો પવન રાત્રિ સુધી ચાલુ રહ્યો હતો, જેમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. ગુરુવારે બપોર પછી શહેરમાં અચાનક તેજ પવન ફૂંકાતા સમગ્ર શહેર ધૂળની ચાદર નીચે ઢંકાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અનેક સ્થળોએ ઝાડની ડાળીઓ તૂટી પડી હતી. રસ્તા પર લાગેલા મોટા હોર્ડિંગ્સ અને બેનરો નમી ગયા હતા.શહેરમાં કોઈ મોટી જાનહાનિ કે મોટી મિલકતને નુકસાનના સમાચાર નથી, પરંતુ વાહનચાલકોને ધૂળને કારણે ભારે મુશ્કેલી પડી હતી. તાલુકાના મુખ્ય ગામો જેવા કે માધાપર, મિરજાપર, માનકુવા, કેરા અને બળદિયા સહિતના વિસ્તારોમાં પણ ધૂળની ડમરીઓ ઉડી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીના પાકને આંશિક નુકસાન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી (સોલાર) પાર્કમાં પણ તોફાની પવન ફૂંકાયો હતો. આ પવન એટલો તેજ હતો કે સોલાર પેનલની પ્લેટો પણ ઉડી ગઈ હોવાની માહિતી સામે આવી છે. રાત્રિના સમયે આકાશમાં વીજળીના કડાકા-ભડાકા સંભળાયા હતા. કમોસમી વરસાદની દહેશત વચ્ચે પવન ચાલુ રહેતા લોકોમાં ચિંતા જોવા મળી હતી.
દીપડો નજરે પડ્યો:હબાય નજીક ધોધમાર વરસાદ વચ્ચે દીપડાના દર્શન, પ્રકૃતિપ્રેમીઓમાં રોમાંચ
ભુજ તાલુકાના હબાય ગામ નજીક મુખ્ય માર્ગ પર એક દીપડો દેખા દેતા રાહદારીઓ અને સ્થાનિકોમાં કુતૂહલ સાથે રોમાંચ ફેલાયો હતો. ગુરુવારે જ્યારે વિસ્તારમાં હળવો વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે હબાય નજીકના પહાડી અને ઝાડીવાળા વિસ્તારમાંથી એક પુખ્ત વયનો દીપડો રોડ સમીપે આવી ચડ્યો હતો. માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોએ આ અદભૂત દ્રશ્ય નિહાળ્યું હતું. ચોમાસાના કારણે ખીલી ઉઠેલી હરિયાળી વચ્ચે બાવળની ઝાડીઓ વચ્ચેથી દીપડાની હાજરીએ વન્યજીવનની સુંદરતામાં વધારો કર્યો હતો. કેટલાક ઉત્સાહી લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં આ દ્રશ્યો કેદ કર્યા હતા, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભુજ તાલુકાનો આ પટ્ટો અને ખાસ કરીને હબાય આસપાસની ટેકરીઓ દીપડાઓ માટે આદર્શ વસવાટ સાબિત થઈ રહી છે. સામાન્ય રીતે વસતીની નજીક દીપડા દેખાય ત્યારે ભયનો માહોલ સર્જાતો હોય છે, પરંતુ હબાય પંથકમાં વન્યપ્રાણી અને મનુષ્યો વચ્ચેના સંઘર્ષના કિસ્સા નહિવત છે. અહીંના દીપડાઓ માનવ વસતીથી અંતર જાળવી રાખે છે અને વન વિભાગના સતત મોનિટરિંગને કારણે કોઈ મોટી દુર્ઘટના નોંધાઈ નથી. જાગૃત લોકોએ સ્થાનિકોને અપીલ કરી છે કે રાત્રિના સમયે એકલ-દોકલ અવરજવર ટાળવી અને વન્યજીવ દેખાય તો તેને પજવણી ન કરવી અને તાત્કાલિક વનવિભાગને જાણ કરવી.
ઠગ પોલીસના સંકજામાં:રતીયા પાસે નકલી આઈડી બનાવી ઠગાઈનો પ્રયાસ કરતા 2 પકડાયા
શહેરના ચીટરો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડીયાને હથિયાર બનાવી એકના ત્રણ ગણા કરી દેવાની લાલચે લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે. તેવામાં રતીયા નજીકથી ફેસબુકમાં નકલી આઈડી બનાવી ઠગાઈનો પ્રયાસ કરતા સગીર આરોપી સહીત બે ઇસમ નકલી નોટોના બંડલ સાથે એલસીબીને હાથ લાગ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,રહિમન નગરમાં રહેતો આરોપી સોહિલ સલીમ ચાવડા અન્ય એક ઇસમ સાથે એફડીઆર રિસોર્ટ બહાર રોડ પર એકટીવા નંબર જીજે 12 ઈએસ 3625 વાળી લઈને હાજર છે. જે સોશિયલ મીડિયા પર નકલી આઈડી બનાવી તેમાં ચલણી નોટોના વિડીયો પોસ્ટ કરી લોભામણી જાહેરાત થકી ઠગાઈનો પ્રયાસ કરી રહ્યા છે. બાતમીને આધારે પોલીસે સ્થાનિકે તપાસ કરતા કાયદાના સંઘર્ષમાં આવેલ આરોપી સહીત બન્ને હાજર મળી આવ્યા હતા.પોલીસે આરોપીના મોબાઈલમાં તપાસ કરતા વિશાલ પટેલ નામની ફેસબુક આઈડી બનાવેલી હતી. જેમાં રૂપિયા 500,200 અને 100 ની નોટોના બંડલના વિડીયો પોસ્ટ કરેલા હતા.અને રૂપિયા એક લાખના ચાર કરી આપવાની લોભામણી જાહેરાત કરેલી હતી.જે બાદ પોલીસે એકટીવામાં તપાસ કરતા તેમાંથી 500 ની નકલી નોટોના 8 બંડલ મળી આવ્યા હતા જેમાં ઉપરની એક નોટ સાચી અને બાકીની નકલી નોટો રાખેલી હતી. જે બાબતે બન્ને આરોપીની પૂછપરછ કરતા ભુજના આરોપી આબીદ ખાન પઠાણ અને અલીશા કાસમશા શેખે ચીટીંગ કરવા માટે મોકલેલા હોવાનું જણાવ્યું હતું. એલસીબીએ મુદ્દામાલ સાથે આરોપીઓની અટકાયત કરી માનકુવા પોલીસ મથકે આ મામલે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્યંત જટિલ સુવાવડ એમ્બ્યુલન્સમાં જ કરાવાઈ:નાળ વીંટળાયેલા બાળકને સફળ પ્રસૂતિ સાથે બચાવી લેવાયું
તાલુકાના ખાવડાના કોલીવાસ વિસ્તારમાં રહેતી સગર્ભાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા પરિવારજનો દ્વારા 108ને જાણ કરાઈ હતી. લોકેશન પર પહોંચેલી ટીમે જોયું કે માતાની સ્થિતિ અત્યંત નાજુક હતી અને હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ પ્રસૂતિ કરાવવી અનિવાર્ય હતી. પ્રસૂતિ દરમિયાન 108ના સ્ટાફની તપાસમાં એક ગંભીર બાબત સામે આવી હતી કે નવજાત બાળકના ગળાના ભાગે ગર્ભનાળ (નાળ) વીંટળાયેલી હતી, જોકે, ઇએમટી પ્રકાશ મકવાણા અને પાયલોટ ઇમરાન નોતીયારે પોતાની સૂઝબૂઝ અને તાલીમનો ઉપયોગ કરી અત્યંત સાવચેતીપૂર્વક નાળને સરકાવી નોર્મલ ડિલિવરી કરાવી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઇઆરસીપી ડો. કરણ દ્વારા ફોન પર આપવામાં આવેલી તબીબી સલાહ મુજબ જરૂરી સારવાર અપાઈ હતી. સફળ પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળક બંને સુરક્ષિત હોવાનું જણાતા તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રોગ્રામ મેનેજર ડો. ભવર પ્રજાપતિ અને ઇએમઈ હિરેન જોશીના માર્ગદર્શન હેઠળ ખાવડાની ટીમે આ કામગીરી કરી હતી.
વાવાઝોડાએ સર્જ્યો વિનાશ:મિનિ વાવાઝોડાથી 121 ફીડરમાં વીજ પૂરવઠો ઠપ
કચ્છમાં આવેલા મિની વાવાઝોડા અને વરસાદે સમગ્ર જિલ્લામાં પીજીવીસીએલની વીજ વ્યવસ્થાને ભારે અસર પહોંચાડી હતી. જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજ થાંભલા ધરાશાયી થવાના બનાવો બન્યા હતા. વરસાદી પવનના ઝાટકાઓ વચ્ચે લો-વોલ્ટેજ જેવી સમસ્યાઓ પણ સર્જાતાં અનેક વિસ્તારોના રહેવાસીઓને અંધારપટ અને રોજીંદી કાર્યોમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખીને પીજીવીસીએલની ટીમોએ તાત્કાલિક મોરચો સંભાળી જુદા-જુદા વિસ્તારોમાં મરામત કામગીરી શરૂ કરી હતી. શરૂઆતમાં સવારે આશરે 125 જેટલા ફીડર બંધ થયા હતા, પરંતુ બપોરે 2 વાગ્યા સુધીમાં ઝડપી કામગીરીના પરિણામે બંધ ફીડરની સંખ્યા ઘટીને 30 પર આવી ગઈ હતી. જોકે બાદમાં હવામાનની પરિસ્થિતિ ફરી વિકટ બનતાં ગુરુવારે સાંજે 5 થી 7 વાગ્યાના સમયગાળામાં કુલ 121 જેટલા ફીડર અસરગ્રસ્ત બન્યા હતા. મળતી માહિતી મુજબ, પશ્ચિમ કચ્છમાં જ્યોતિગ્રામના 26 ફીડર બંધ થયા હતા, જ્યારે છેરમાં આવેલ ઝેટકો સબ સ્ટેશન પણ બંધ થઈ જતાં વીજ અસર નોંધાઈ હતી. બીજી તરફ અર્બન અને સિટી વિસ્તાર મોટા ભાગે ફિડરો બંધ થયા બાદ તંત્ર દ્વારા પુનઃ શરૂ કરવામાં આવ્યા હતા. ભુજ શહેરમાં સરપટ ગેટ, એરપોર્ટ વિસ્તાર અને સેવન સ્કાય આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠા પર અસર થઈ હતી, પરંતુ તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરાતા ત્યાં પુરવઠો પુનઃસ્થાપિત કરાયો હતો. વાવાઝોડા અને વરસાદના કારણે કુલ 84 વીજ થાંભલાઓને નુકસાન પહોંચ્યું હતું તેમજ 2 ટ્રાન્સફોર્મર પણ ડેમેજ થયા હતા. અનેક સ્થળોએ વીજ લાઈનો અને માળખાકીય સુવિધાઓને નુકસાન થતા પીજીવીસીએલની ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી તેજ બનાવી હતી. આજ સવાર સુધીમાં વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવશેઅસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે ટીમોને જુદા જુદા ઝોનમાં મોકલી મરામત કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. કાલ રાત સુધીમાં મોટા ભાગનું કામ પૂર્ણ થઇ ચુક્યું છે. જ્યારે કોઈ સબ સ્ટેશન અથવા પોલ સંબંધિત વીજ પુરવઠો બંધ હશે તો તેને આજ સવાર સુધીમાં પુનઃચાલુ કરી દેવામાં આવશે.> તપન વોરા, અધિક્ષક ઇજનેર, પશ્ચિમ કચ્છ
ઠગ દ્વારા જમીન હડપવાનો પ્રયાસ:વડસરની જમીનનો ખોટી સહી-આધાર થકી 1.22 કરોડમાં 2 ઠગે દસ્તાવેજ કરી લીધો
વડસરની જમીનનો માલિકોની જાણ બહાર અમદાવાદ-કાવીના બે ગઠિયાએ ખોટી સહિ, દસ્તાવેજ, ખોટી પાવર ઓફ એટર્ની બનાવી રૂા.1.22 કરોડમાં દસ્તાવેજ કરી લેતાં ફરિયાદ બાદ માંજલપુર પોલીસે 1ની ધરપકડ કરી છે. કારેલીબાગના રમેશભાઈ પટેલે અમદાવાદના હસમુખ પટેલ અને કાવીના નરેન્દ્ર પરમાર વિરૂધ્ધ પોલીસ કમિશરને અરજી આપી જણાવ્યું હતું કે, તેમણે મુંબઈના બે મિત્રો હર્ષદ ગોરડીયા અને પ્રમોદ ગરોડીયા સાથે ભાગીદારીમાં જમીન ખરીદી હતી. મૂળ માલીક બેચરભાઈ બારોટ હતાં. હર્ષદભાઈ અવસાન પામતાં તેમના દિકરાઓની વારસાઈ કરાવવા વકીલને કામ સોંપતાં જમીનમાં ખોટા આધારકાર્ડથી 1.22 કરોડનો વેચાણ દસ્તાવેજ 14 જુલાઈ 2020ના રોજ થયો હતો. માંજલપુર પીઆઇ એલ.ડી.ગમારાએ જણાવ્યું કે, નરેન્દ્ર પરમારની ધરપકડ કરવામાં આવી છે, હસમુખ પટેલને પોલીસ શોધી રહી છે. આધારકાર્ડ નંબર ખોટો, અન્યના ફોટા ચોંટાડીને દસ્તાવેજ કરી લીધોફરિયાદીએ જણાવ્યું કે, ગઠિયાઓએ વેચાણ દસ્તાવેજમાં આધારકાર્ડનો નંબર ખોટો લખાવ્યો હતો. ખોટી સહિઓ કરી અન્ય વ્યક્તિઓના ફોટા ચોંટાડીને સબ રજીસ્ટ્રારમાં ફરિયાદી અને તેમના બે ભાગીદારોની જગ્યાએ તેના મળતિયાઓને ઉભા રાખીને વેચાણ દસ્તાવેજ કરી લીધો હતો. ગઠિયાઓએ નકલી પાવર ઓફ એટર્ની બનાવી ચેક આપ્યાનું દર્શાવ્યુંબંને ગઠિયાએ રૂ.1.22 કરોડમાં દસ્તાવેજ કરી પ્રમોદભાઈ ગોરડીયા જીવીત હોવા છતાં તેમના નામે નકલી પીઓએ તેમજ મૃતક ભાગીદારના નામે પણ રજીસ્ટ્રાર પીઓએ બનાવી હતી. દસ્તાવેજમાં વિજયા બેંકના 6 ચેક આપ્યાં હતા.
GATEની પરીક્ષામાં ઝળહળતી સફળતા:વડોદરાના શ્રેયાંશ સિંઘની GATEમાં AIR-52મી અને ગુરુદત્તની 73મી રેન્ક
ગત ફેબ્રુઆરી મહિનામાં લેવાયેલી ગ્રેજ્યુએટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ(GATE)કના પરિણામો જાહેર થયા છે. જેમાં વડોદરાના શ્રેયાંશ સિંઘે એન્વાયર્નમેન્ટલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં 52મી રેન્ક મેળવી છે. તેનો ગેટ સ્કોર 737 છે. જ્યારે ગુરુદત્ત યજ્ઞેશ દવેએ 75મી રેન્ક મેળવી છે. ગુરુદત્તનો ગેટ સ્કોર 848 રહ્યો હતો. તેને ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં આ રેન્ક મેળવી છે. આ ઉપરાંત નીર કમલેશ ચોક્સીએ 267મી ઓલ ઇન્ડિયા રેન્ક મેળવી 527 ગેટ સ્કોર છે. તેમજ અર્જુન મકાડીયાએ ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિરિંગમાં 306મી રેન્ક મેળવ્યો છે અને 623 ગેસ્ટ સ્કોર કર્યો છે. આમ ગેટ 2026 પરીક્ષામાં વડોદરાના બે ઉમેદવારોએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ગેટ પરીક્ષા એક મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષા છે, જે એન્જિનિયરિંગ અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે યોજાય છે. દર વર્ષે આશરે 8થી 9 લાખથી વધુ ઉમેદવારો નોંધણી કરે છે અને લગભગ 6થી 7 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, જેમાંથી માત્ર લગભગ 15–20% જ ક્વોલિફાય થાય છે. આથી તેની સ્પર્ધા ખૂબ જ કઠિન માનવામાં આવે છે. આ પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓને આઈઆઈટી અને એનઆઈટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પ્રવેશ મળે છે તેમજ સરકારી નોકરીઓમાં પણ ઉપયોગી સાબીત થાય છે.
વડોદરા. અજવા રોડ સ્થિત આરએમએસ પોલિટેકનિક ખાતે રાજ્ય સ્તરીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જીટીયુ સ્પિરિટ અંતર્ગત યોજાયેલી આ ટુર્નામેન્ટમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના 100થી વધુ ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં મધ્ય ગુજરાતની અનેક ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. આરએમએસ પોલિટેકનિકે નીઓટેક કોલેજ વચ્ચેની ફાઇનલ મેચ યોજાઇ હતી. જેમાં આરએમએસની ટીમે 8 વિકેટમાં ઓલ આઉટ કરી છેલ્લા ચોગ્ગો મારી નીઓટેક કોલેજની ટીમને હરાવી ઉત્કૃષ્ટ રમત દર્શાવી ફાઇનલ સુધીનો સફર પાર કર્યો હતો. ઝોનલ કક્ષાના અંતિમ મુકાબલામાં આરએમએસ પોલિટેકનિક વચ્ચે મેચ યોજાઇ હતી. જ્યારે રાજકોટની એવીપીટીઆઇ ટીમનો વિજય થયો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ટીમની એકતા અને રમત પ્રત્યેનો જુસ્સો સ્પષ્ટ જોવા મળ્યો હતો. આમ ડિપ્લોમા એન્જિનિયરિંગના જામનગર, અમદાવાદ અને દમણ સહિતની ટીમોએ ભાગ લઇ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપ્યું હતું.
મારામારીનો મામલો:કુંભારવાડા અને ગણેશનગરમાં મારામારીના 3 બનાવ,3 ઘાયલ
શહેરના કુંભારવાડા વિસ્તારમાં એક જ દિવસમાં મારામારીના જુદા જુદા બે બનાવો બન્યા હતા, જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગે પોલીસ તપાસ આગળ વધી રહી છે. કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ દિવસે મારામારીના બે બનાવો બન્યા હતા. પ્રથમ બનાવ ગરનાળા ચોકી પાછળ હાથીખાના વિસ્તારમાં નોંધાયો હતો. જેમાં આરીફ ગફારખાન પઠાણની ફરિયાદ મુજબ ધૂળ ઉડાડવાના મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલી બાદ ઝઘડો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન આરોપી વસીમ પઠાણે ચપ્પુ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ફરિયાદીએ સમયસર ચપ્પુ છીનવી લીધું હતું. ત્યારબાદ અન્ય આરોપીઓ સાથે મળીને ફરીયાદી તથા તેના પરિવારજનો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં ફરિયાદીના દિકરાને માથા તથા પગના ભાગે ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. બીજો બનાવ ગણેશનગર વિસ્તારમાં સચ્ચિદાનંદ દુકાન નજીક નોંધાયો હતો. ફરિયાદી અરૂણભાઈ બથવારની ફરિયાદ મુજબ દુકાન સામે પેશાબ કરવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી ઝઘડો કર્યો હતો. દરમિયાન એક આરોપીએ તલવાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે બીજા આરોપીએ ગુપ્તી વડે ઇજા પહોંચાડી હતી. અન્ય આરોપીઓએ પણ ફરીયાદીને માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંને બનાવોમાં ચાર-ચાર આરોપીઓ સામે ગુનાઓ નોંધાયા છે. હાલ કુંભારવાડા પોલીસ દ્વારા બંને કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ કાર્યવાહી:શિક્ષિકાને સોશિયલ મીડિયા પર હેરાન કરનારો યુવક ઝડપાયો
મદનઝાપા પાસે રહેતી ખાગની શાળાની શિક્ષિકાને એક યુવક સોશિયલ મીડિયાની અલગ-અલગ આઈડીથી મેસેજ કરીને હેરાન કરતો હતો. ફેબ્રુઆરી મહિનામાં યુવકે શિક્ષિકાની સોશિયલ મીડિયાની પોસ્ટ પર માય વેલેન્ટાઈન ડે તેવી કોમેન્ટ કરી હતી. થોડા સમયથી યુવક શિક્ષિકાના ઘરની આસપાસ ફર્યા કરતો હતો. જેથી તેણે યુવકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકને ઝડપી પાડ્યો હતો. મૂળ બંગાળની મહિલા વડોદરામાં રહે છે અને શિક્ષિકા તરીકે ખાનગી શાળામાં ફરજ બજાવે છે. 2022માં તેઓને સોશિયલ મીડિયા પર હિરેન રાજપૂત નામના યુવકનો મેસેજ આવ્યો હતો. જોકે શિક્ષિકા તેને બ્લોક કરી દીધું હતું. 2023માં સ્મીત રાજે નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથ મેસેજ આવતા શિક્ષિકાએ તે એકાઉન્ટ પણ બ્લોક કરી દીધું હતું. 2025માં હિરેન રાજપૂત નામનની સોશિયલ મીડિયા આઈડી પરથી ફરી મેસેજ આવ્યો હતો, જેમાં તેણે મેસેજ કર્યો હતો કે, મારે તમારી સાથે માત્ર તમારી સાથે વાત કરવી છે, તમે કેટલો ઘંમડ રાખો છો, તમે ના પાડશો તો તેમને મેસેજ નહીં કરું. આ પ્રકારના તે મસેજે કર્યા કરતો હતો. ગત ફેબ્રુઆરીની 7 તારીખે હિરેને શિક્ષિકાની સોશિયલ મીડિયાની પર માય વેલેન્ટાઈન તેવી કોમેન્ટ કરી હતી. જોકે શિક્ષિકાએ તે કોમેન્ટ ડીલીટ કરી દીધી હતી. જે બાદ હિરેન શિક્ષિકાના ઘરની આસપાસ ફર્યા કરતો હતો. જેથી શિક્ષિકાએ હિરેન રાજપૂતની સામે નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ઠગાઈ:અકોટા ટાઉનશિપમાં 2 કરોડની ઠગાઈ, ભાગીદારોને અંધારામાં રાખી છેતરપિંડી
અકોટાની જમીનમાંથી પસાર થતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સંપાદનના રૂ.2 કરોડ અકોટા ટાઉનશીપ પેઢીના ભાગીદારને અંધારામાં રાખીને એક ભાગીદાર પૈકી જમીના મુળ માલિકે મેળવી ઠગાઈ કરી હતી. આ મામલે અકોટા પોલીસે ગુનો નોંધ્યો છે. તાંદલજા આયશા વીલા ખાતે રહેતા બિલ્ડર સલમાન અબ્દુલ રઝાક પટેલ સહિત પિતા, ભાઈ, માતા અને અન્ય 14 લોકોએ યુનિક ડેવલોપર્સ પેઢી બનાવી હતી. તે પેઢીએ 2002માં અકોટા ગામની 4 જમીનો 41 મુળ માલિક પાસેથી ડેવલપમેન્ટ કરાર અને બાનાખત કરાર મુજબ મેળવી હતી. જેના રૂ.2.72 કરોડ ચૂકવવાના હતા. રૂ.66 લાખ સાથે જમીન પર અકોટા ટાઉનશીપ સ્કીમમાં 28 પ્લોટ આપવાનું નક્કી કર્યું હતું. પેઢીમાં 6.25 ટકાના ભાગીદાર હસન ઉર્ફે કડુ અલી પટેલ (રહે, અકોટા)ને પીઓએ આપ્યું હતું. હસન ઉર્ફે કડુએ જમીન માલિકો સાથે મળીને પેઢીના ભાગીદારો સાથે વિશ્વાસઘાત કર્યો હતો. સરવે નં-8માંથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેતુ માટે 475 ચો.મિટર સંપાદન કરવા જાહેરનામુ પ્રસિદ્ધ થયું હતું. ભાગીદારોની જાણ બહાર હસને જમીન માલિકને વળતર અંગે અન્ય ભાગીદારને વાંધો નથી તેવું સોગંદનામું કર્યું હતું. તે રૂપિયા મેળવવા મુળ માલિક જુબેર મુસા બાબર અને ઈલ્યાસ અલ્લી બાપુએ સિટી સર્વે તથા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં બે-બે ખોટા પેઢીનામા રજૂ કરીને 2 કરોડની રકમ જમીન માલિકો પૈકી જુબેર મોલવીના ખાતામાં 1.66 કરોડ મેળવી લીધા હતા. હસને 47 લાખ પોતાના ખાતામાં મેળવ્યા હતા. જ્યારે ગુલામમોહમદ નુરમીયા શેખ 34 લાખ પોતાના એકાઉન્ટમાં મેળવી લીધા હતા. મિલકતના અવેજની પૂરેપૂરી રકમ યુનિક ડેવલોપર્સના ભાગીદારે ચૂકવી હોવા છતાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની રકમ બારોબાર મેળવી લઈ છેતરપિંડી કરી હતી. જે અંગે અકોટા પોલીસે ગુનો નોંધ્યો હતો. ભાસ્કર ઇનસાઇડહજુ 3 આરોપી ઉમેરાશે, રૂા.1.66 કરોડમાંથી 3 લોકોના ખાતામાં રૂપિયા જમા થયા હતાબુલેટ ટ્રેન પ્રોજેક્ટના રૂ.2 કરોડ પૈકી રૂ.1.66 કરોડ જુબેર મુસા બાબરના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. ત્યારે તે ખાતામાંથી અન્ય ચાર જમીનના મુળ માલિકના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા હોવાનું સુત્રોએ કહ્યું હતું. જોકે હજી આરોપીઓમાં ત્રણ આરોપી ઉમેરાય તેમ છે. કુલ છ જમીનના મુળ માલિકે આ ઠગાઈ કરી હતી, બીજી બાજુ અકોટા ટાઉનશીપનો મામલો હવે અટવાઈ ગયો છે. તેના ડુપ્લેક્ષના દસ્તાવેજ પણ બાકી રહી ગયા છે તેમ સુત્રોએ કહ્યું હતું.
ફતેગંજના રેસ્ટોરન્ટ અને બેંક્વેટના પૂર્વ સંચાલકને કરોડિયાના વ્યાજખોરે 1 કરોડ વ્યાજે આપી 1.41 કરોડ વસૂલી લીધા હતા. છતાં 50 લાખ માગી ધમકી આપતાં સયાજીગંજ પોલીસે 2 વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે. મૂળ વડગામના અને હાલ ફતેગંજ રહેતા ઈમ્તિયાઝઅલી મરેડિયા 2020માં ગોરવા પંચવટી પાસે રેસ્ટોરન્ટ એન્ડ બેંક્વેટ ચલાવતા હતા. કરોડિયા રોડ સત્યમ ટેનામેન્ટમાં રહેતા દિનેશ પરમારની દુકાન ગ્રાઉન્ડ ફ્લોર પર હતી, જે ઈમ્તિયાઝઅલીએ ભાડે રાખી હતી. 2021થી દિનેશ પરમાર પાસેથી ઈમ્તિયાઝઅલીએ મહિને 2 ટકાના વ્યાજે ટુકડે-ટુકડે 1 કરોડ લીધા હતા. તે પછી તેમણે 2024 સુધીમાં 2 ટકા લેખે 45.20 લાખ વ્યાજના ચૂકવી દીધા હતા. 1 કરોડની મૂડી સામે દિનેશ પરમાર 2024માં વધુ દબાણ કરતો હોવાથી ઈમ્તિયાઝઅલીએ પી.એમ.આંગડિયા મારફતે સિદ્ધપુર ધ્રોલ ખાતે દીપકભાઈને બે વખત 30 લાખ મોકલ્યા હતા. દિનેશ વ્યાજની ઉઘરાણી કરતો હતો. ઈમ્તિયાઝઅલી વતી તેમના મોટા ભાઈ આબીદઅલી મરેડિયા અને સાળો નઝરમહંમદ શેલિયા પાસેથી 35 લાખનું લખાણ લઈ કાગળ પર સહી કરાવી હતી. દિનેશે નઝરમહમદ પાસેથી 10 લાખ ઘરે મગાવ્યા હતા. ઈમ્તિયાઝઅલી પાસેથી દિનેશ પરમારે 96 લાખ મૂડી તેમજ 45.20 લાખ વ્યાજના મળીને કુલ 1.41 કરોડ લઇ લીધા હતા છતાં દિનેશ વધુ વ્યાજની ઉઘરાણી કરી 50 લાખની માગણી કરતો હતો અને ચેક લઈ લીધા હતા. દિનેશ ધમકી આપતો હતો કે, ખોટા કેસમાં ફસાવી દેશે, સંબંધી પર પણ ખોટા કેસ કરશે અને ઉઠાવી જશે. ઈમ્તિયાઝઅલીએ હોટલ પણ વેચી દીધી હતી. આ મામલે સયાજીગંજ પોલીસે બે સામે નાણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. 1 કરોડથી વધુના ગેરકાયદે વ્યવહાર સંદર્ભે ઈડી પણ તપાસ કરે શકે છેઆ કેસમાં રૂ.1 કરોડથી વધુના ગેરકાયદે નાણાના વ્યવહારની વિગતો મળે તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ મેદાને આવે તેમ જાણવા મળ્યું હતું. બ્લેક મની અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બીજી બાજુ દિનેશ અને ઈમ્તિયાઝઅલી વચ્ચે 8 દુકાનના ભાડા સહિતનો પણ સિવિલ મામલો બન્યો હોવાનું તેમજ દિનેશે પોતે પોતાની 8 દુકાનો પરત લઈ લીધી હોવાનું જાણવા મળ્યું હતું. 60 લાખનો ખર્ચ કરેલી અને સલૂનના સામાન સાથેની દુકાન દિનેશે લઈ લીધીઈમ્તિયાઝઅલીએ દિનેશ પરમારની ગોરવાની દુકાન ભાડે રાખીને રૂ.60 લાખનો ખર્ચો કર્યો હતો. સાથે જ તેમાં સલુનનો સામાન પણ રાખ્યો હતો. વ્યાજના રૂપિયા સાથે દિનેશ પરમારે ઈમ્તિયાઝઅલી પાસેથી તે દુકાનનો કબ્જો લઈ લીધો હતો.
ભૂલકાઓ હવે AI ટેકનોલોજીથી મેળવશે શિક્ષણ:વડોદરા જિલ્લામાં એઆઈથી સજ્જ 3 સ્માર્ટ આંગણવાડી ખુલ્લી મૂકાઇ
વડોદરા જિલ્લામાં એઆઈથી સજ્જ 3 સ્માર્ટ આંગણવાડી ખુલ્લી મૂકાઇ છે. વાઘોડિયા તાલુકાના ભૂલકાઓ માટે અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી વોલ્ટાસ લિમિટેડની સી. એસ. આર. પહેલ અંતર્ગત અંબુજા ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી ડિજિટલ સ્માર્ટ આંગણવાડીઓ ખુલ્લી મૂકવામાં આવી છે. 11 ગામોમાં આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં હાથ ધરાયેલા પ્રોજેક્ટના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી છે, જેથી બાળકો પ્રાથમિક કક્ષાએથી જ વાંચન, ગણન અને લેખનમાં સજ્જ બની શકે. પ્રથમ તબક્કામાં ગજાદરા, સોમેશ્વરપુરા અને વ્યારા ગામની આંગણવાડીઓને ડિજિટલ સ્માર્ટ આંગણવાડીમાં પરિવર્તિત કરવામાં આવી છે. કેન્દ્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ સ્માર્ટ પેનલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ શાળા, આંગણવાડી અને પેટા આરોગ્ય કેન્દ્રોમાં માળખાકીય સુવિધાઓની મરામત તેમજ વિવિધ આરોગ્ય કેમ્પ પણ યોજાયો હતો. બાળકો પ્રાથમિક કક્ષાએથી જ વાંચન, ગણન, લેખનમાં સજ્જ બની શકશે
સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટીની મેસમાં એનએસયુઆઇએ ઇફતાર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેનો વિડિયો વાઇરલ થયો છે. NSUIએ સીયુજી ઇન્સ્ટાગ્રામ પેજ પર આ ઘટનાના ફોટો અને વીડિયો અપલોડ કર્યા છે. વગર પરવાનગીએ કાર્યક્રમનું આયોજન કરાયું હોવાનું જાણવા મળ્યું છે. સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઇ દ્વારા ઇફતાર પાર્ટીના આયોજનથી વિવાદ થયો છે. મેસમાં આ કાર્યક્રમ યોજવામાં આવતાં તેની સામે સવાલો ઉભા થયા છે. સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટી સરકારી સંસ્થા છે અને ત્યાં આ પ્રકારના આયોજન માટે કોની પરવાનગી લેવામાં આવી હતી તેની જવાબદારી લેવા કોઇ તૈયાર નથી. એનએસયુઆઇ વિદ્યાર્થી સંગઠન છે. સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટી એનએસયુઆઇના વિદ્યાર્થી નેતાઓએ સમગ્ર આયોજન કર્યું હતું. ઇફતાર પાર્ટી માટે મેસને સજાવવામાં પણ આવી હતી સાથે તમામ વિદ્યાર્થીઓ સહિતના સ્ટાફને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોના પગલે અગામી સમયમાં વિવાદ વધુ વકરે તેવી શકયતાઓ છે. મેસના મેનૂમાં ચિકનનો સમાવેશ કરવા માગ કરીમેસના મેનૂમાં નોર્થ ઇસ્ટના વિદ્યાર્થીઓના નામે ચિકનની ડીશનો સમાવેશ કરવા માટે પણ વિદ્યાર્થી સંગઠને માગણી કરી હતી. જેના પગલે પણ વિવાદ થયો હતો. યુનિવર્સિટીમાં અત્યારે મેસના મેનૂમાં ઇંડાનો સમાવેશ કરાયેલો છે. ઓફિશિયલ પરવાનગી લેવામાં આવી નથીસેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ જણાવ્યું હતું કે અમારી પાસે ઓફિશિયલ પરવાનગી લેવામાં આવી નથી. આ પ્રકારની કોઇ પરવાનગી સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટી આપતી નથી. ભાસ્કર ઇનસાઇડઅમે તમામ ધર્મોના તહેવારો ઊજવીએ છીએસેન્ટ્રલ યુનિવર્સિટીમાં જમ્મુ-કાશ્મીર, નાગાલેન્ડ, ઉત્તર પ્રદેશ, તમીલનાડુ સહિતના મોટાભાગના રાજ્યોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તમામ ધર્મના વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે. અને તમામ ધર્મોના તહેવારોની ઉજવણી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં કરાય છે. જેના ભાગરૂપે ઇફતાર પાર્ટીનું આયોજન કરાયું હતું. જેની પરવાનગી લેવામાં આવી હતી. > પ્રિન્સ જહા, એનએસયુઆઇ, ઇન્ચાર્જ, સીયુજી
મિલકત વેરાની વસૂલાત:મિલકત વેરાના બાકીદારો માટે 31મી સુધી વ્યાજ માફીની યોજના લંબાવાઇ
પાલિકા દ્વારા બાકી મિલકતા વેરાની વસૂલાત માટે કડકાઇ દાખવવામાં આવી છે. બીજી તરફ બાકી મિલકત વેરાની વસૂલાત માટે જાહેર કરાયેલી પ્રોત્સાહક વ્યાજ વળતર યોજનાની મુદત વધારવામાં આવી છે. લોકો વોર્ડ કચેરી જવાને બદલે ઓનલાઇન પણ વેરો ભરી શકે છે. જ્યારે આગામી 31 માર્ચ સુધીમાં તમામ રવિવાર અને જાહેર રજાના દિવસોમાં પણ પાલિકાની વોર્ડ કચેરીઓ કાર્યરત રહેશે. નાણાકીય વર્ષ પૂરું થવાના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા ચાલુ વર્ષના વેરાની કડકાઇથી વસૂલાત શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત મિલકતોને સીલ કરવાની સાથે રહેણાક મિલકતોને નોટિસ પણ આપવામાં આવી છે. બીજી તરફ બાકી વેરાની વસૂલાત માટે હવે રવિવારના દિવસે પણ કચેરીઓ ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રજાના દિવસો અને રવિવારે 9.30થી બપોરે 2 વાગ્યા સુધી પાલિકાની કચેરીઓ દ્વારા નાણાં સ્વીકારવામાં આવશે. જ્યારે સામાન્ય કામકાજના દિવસોમાં સાંજના 4 વાગ્યા સુધીના સમયમાં વધારો કરીને 5 વાગ્યાનો કરાયો છે. 31 માર્ચના રોજ ચાલુ નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હોવાને કારણે ગ્રાહકો રાત્રે 9 વાગ્યા સુધી વેરો ભરી શકશે. આ અંગે ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેરના જણાવ્યા અનુસાર આ યોજના હેઠળ વર્ષો જૂના બાકીદારોને મોટી આર્થિક રાહત આપવામાં આવી રહી છે. વર્ષ 2003-04થી 2024-25 સુધીની બાકી રકમ પર રહેણાક મિલકતોને 80 ટકા અને બિન-રહેણાક મિલકતોને 60 ટકા વ્યાજ માફી મળશે. વોરંટ ફી, નોટિસ ફી અને પેનલ્ટીમાં પણ 100 ટકા રાહત જાહેર કરવામાં આવી છે. નાગરિકો કચેરીએ ધક્કા ખાવાને બદલે ઓનલાઈન પણ વેરો ભરી શકે છે.
વુડા દ્વારા 2026-27નું બજેટ રજૂ કરાયું છે. જેમાં રોડ-રસ્તા, ડ્રેનેજ અને આવાસ યોજના પર વિશેષ ભાર મૂકાયો છે. 801.70 કરોડની આવક સામે 643 કરોડનો ખર્ચ અંદાજાયો છે. જેમાં અંકોડિયામાં 57 ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશે. તદુપરાંત રોડ માટે 200 કરોડ અને ખાનપુર ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાછળ 167 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. વુડાની આર્થિક સ્થિતિનો આધાર ગ્રાન્ટ પર છે. વુડાને પ્રધાનમંત્રી આવાસ યોજના અને યુડીડીની 350 કરોડની ગ્રાન્ટ મળવાની આશા છે. બજેટમાં ખર્ચનો સૌથી મોટો હિસ્સો રોડ, એસટીપી, ડ્રેનેજ અને પાણી નેટવર્ક, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, રિંગ રોડ અને અન્ય રોડ પ્રોજેક્ટ્સ માટે 517 કરોડની જોગવાઈ છે. વુડા 2 વર્ષની જેમ આ વર્ષે પણ પ્લોટ વેચી 100 કરોડ મેળવશે. જ્યારે સરકારી ગ્રાન્ટ તરીકે વુડાને 300 કરોડ મળવાની સંભાવના છે. બજેટમાં ખર્ચમાં 36 ટકાનો વધારો કરાયો છે. વિકાસલક્ષી કાર્યોમાં ગત વર્ષ કરતાં 171 કરોડથી વધુનો વધારો કર્યો છે. જોકે ગત વર્ષ કરતાં બજેટનું કદ 119 કરોડ ઘટ્યું છે. લોજિસ્ટિક પાર્કનો ડીપીઆર મંજૂર, 5 કરોડની કમ્પાઉન્ડ વોલ બનશેશહેરના હાલોલ રોડ પર ટોલનાકા પાસે વુડા દ્વારા લોજિસ્ટિક પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં 80 વીઘા જમીનમાં લોજિસ્ટિક પાર્ક તૈયાર કરવામાં આવશે. વુડા દ્વારા આ વર્ષના બજેટમાં રૂા.5 કરોડની જોગવાઈ કરાઈ છે, જે રકમનો ખર્ચ કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે થશે. નોંધનીય છે કે, વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી વેળાએ તેમાંથી નીકળતી માટી અહીંયાં ઠલવાઈ હતી. 75 મીટર રિંગ રોડ પર 27.54 કિમીના કામમાં અંડરપાસ અને 600 મીટર રસ્તાનું કામ બાકીશહેર ફરતે વુડા દ્વારા 75 મીટરનો રિંગ રોડ બનાવવાની કામગીરી કરાઈ રહી છે. જે અંતર્ગત પહેલા તબક્કામાં પૂર્વમાં આજવા રોડ જેસિંગપુરાથી રતનપુર સુધી અને પશ્ચિમમાં અંકોડિયાથી ચાપડ સુધી 27.54 કિમીનો રોડ બનાવવામાં આવી રહ્યો છે, જેની પાછળ 271 કરોડનો ખર્ચ થયો છે. હજી અનેક જગ્યાએ રોડ બનાવવાનો બાકી છે તેમજ એક અંડરપાસ બનાવવાની કામગીરી કરાશે. આ કામગીરી માટે 50 કરોડની જોગવાઈ કરાઈ છે. વુડાને ક્યાંથી આવક થશે, ક્યાં ખર્ચ થશે?
દબાણ કરાયા દૂર:મુક્તાનંદ ત્રણ રસ્તા તરફનાં દબાણ હટાવાયાં, 4 ટ્રક ભરી સામાન જપ્ત
શહેરને સ્વચ્છ બનાવવા માટે પાલિકા દ્વારા શહેરના મોટા રસ્તાઓની સફાઈ સાથે તેના સમારકામ અને ડિવાઈડર ક્લીનિંગની કામગીરી કરાઈ રહી છે. જે અંતર્ગત ગુરુવારે કારેલીબાગ ચારભૂજા કોમ્પ્લેક્સથી મુક્તાનંદ ત્રણ રસ્તા સુધી દબાણ હટાવવાની કામગીરી કરાઈ હતી. પાલિકાના વોર્ડ 7ના અધિકારીઓ અને દબાણ શાખાની ટીમે વન વોર્ડ-વન રોડ અંતર્ગત કારેલીબાગ ચારભૂજા કોમ્પ્લેક્સથી મુક્તાનંદ ત્રણ રસ્તા સુધીના રોડ પર સફાઈ અભિયાન સાથે દબાણો હટાવ્યાં હતાં. દબાણ શાખાની ટીમે રોડ પર ઊભાં કરાયેલાં લારી-ગલ્લા, શેડનાં દબાણો હટાવ્યાં હતાં. સાથે જ રોડની સફાઈ અને ડિવાઇડરને ધોવાની કામગીરી કરાઈ હતી. રોડ પરથી 4 ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો હતો. દક્ષિણ અને ઉત્તર ઝોનમાં અંદાજિત 58 રોડની સફાઈ થઈ ચૂકી છે. રોડ બાદ આંતરિક રોડની સફાઈ હાથ ધરાશે. રોડની સફાઈ, ફૂટપાથના સમારકામ સાથે ડિવાઇડર ધોયાં
અણધારી આફત:60 કિમીના પવનો સાથે માવઠું, 8 ઝાડ પડ્યાં, 1 લાખ ઘરોમાં વીજળી ડૂલ
રાજસ્થાનમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનથી ગુરુવારે વાવાઝોડા સાથે માવઠું વરસ્યું હતું. સાંજે 7થી 8 સુધી 60 કિમીની ઝડપે પવન ફૂંકાતાં પારો 5 ડિગ્રી ગગડી ગયો હતો. જ્યારે 60 ફીડર, 3 સબ સ્ટેશનનાં 1 લાખ ઘરમાં વીજળી ડૂલ થઈ હતી. 8 સ્થળે ઝાડ પડ્યાં હતાં, જ્યારે પરિવાર ચાર રસ્તા પાસે ગાયને કરંટ લાગ્યો હતો. સાઇક્લોનિક સર્ક્યુલેશનને પગલે શહેરમાં ગુરુવારે સવારથી 8થી 10 કિમીના પવન ફૂંકાયા હતા. જ્યારે સાંજે 5:30 બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. તે પછી મોડી સાંજે 7થી 8 વાગ્યા સુધીમાં 60 કિમીની ઝડપે પવન ફૂંકાયા હતા. જેને પગલે ધૂળની ડમરી ઊડતાં ટુ-વ્હીલર ચાલકો પરેશાન થયા હતા. જ્યારે ધૂળિયા વાતાવરણમાં વિઝિબિલિટી 500 મીટરથી ઓછી થઈ હતી. 20 માર્ચે પણ વાદળો જોવા મળશે અને પવનની ઝડપ 10 કિમી સુધી નોંધાશે. બીજી તરફ વંટોળિયાને કારણે કારેલીબાગ, હરણી, છાણી, માંજલપુર સહિતના વિસ્તાર સહિત 60થી વધુ ફીડર અને 3 સબ સ્ટેશન બંધ થતાં 1 લાખ જેટલાં ઘરોમાં વીજળી ડૂલ થઈ હતી. જેને પગલે વીજ કર્મીઓ દોડતા થયા હતા. આ 8 સ્થળે વૃક્ષ ધરાશાયી: 1)બદામડીબાગ પાસે2) વાસણા જકાત નાકા પાસે 3) માંજલપુર પ્રમુખ પ્રસાદ ચોકડી પાસે 4) ભાયલી નવરચના યુનિ. પાસે 5) તાંદલજાના ઝમઝમ પાર્ક પાસે6) ટીપી-13 મારુતિધામ સોસા. પાસે 7) સલાટવાડા શિવાજી ચોક ખાતે 8) બરોડા ડેરી પાસે સબ સ્ટેશનો બંધ થતાં જ 20થી વધુ ફીડર ઠપમકરપુરા-બી, તરસાલી અને માંજલપુરનાં 3 સબ સ્ટેશન બંધ થયાં હતાં. જેટકોની આ મુખ્ય લાઈનથી વીજ પ્રવાહ ટ્રાન્સફર કરાય છે. જે બંધ થતાં 20થી વધુ ફીડર ઠપ થયાં હોવાનું જાણવા મળ્યું હતું. જોકે અન્ય વીજ લાઇનોનું મોડી રાત સુધી સમારકામ કરાયું હતું. ભાસ્કર એક્સપર્ટમાર્ચમાં 3 મુખ્ય કારણોથી વરસાદ-વંટોળ આવે છે 1) વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ)ઠંડી હવામાન પ્રણાલી મેડિટેરેનિયન વિસ્તારમાંથી ઉત્તર ભારત તરફ આવે છે. જેેની અસર ગુજરાત સુધી પહોંચે છે.જેથી ગાજવીજ સાથે માવઠું થાય છે. 2) ગરમ-ઠંડી હવા અથડાતાં થંડરસ્ટ્રોમમાર્ચમાં જમીન ગરમ થાય છે. ગરમ હવા ઉપર જઈ ઠંડી હવા સાથે અથડાય છે. આ પ્રક્રિયાને કન્વિક્શન કહેવાય છે. જેથી થંડરસ્ટ્રોમ રચાય છે. 3) પ્રિ-મોન્સૂન એક્ટિવિટીમાર્ચથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં ભેજ અને વાતાવરણમાં અસ્થિરતા વધે છે. જેથી વંટોળ અને વરસાદ આવે છે. - મુકેશ પાઠક, હવામાન નિષ્ણાત
રાજ્યના હવામાન વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે ગતરોજ રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 72 તાલુકામાં 1 મિમીથી લઈને 41 મિમી સુધી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના બગસરામાં દોઢ ઈંચથી વધુ નોંધાયો છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ ઝરમરથી લઈને મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. આજે 4 જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહીહવામાન વિભાગે આગામી 20 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને કચ્છ જિલ્લાઓમાં હળવો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે જ 24 કલાક બાદ રાજ્યના તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસમાં દિવસનું મહત્તમ તાપમાન 4થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે, જેના કારણે ઉનાળાની તીવ્ર ગરમીનો અહેસાસ થવાની શરૂઆત થઈ શકે છે. પાક અને વીજ પુરવઠાને મોટા પ્રમાણમાં નુકશાન થયુંગત બે દિવસમાં વરસાદ અને તીવ્ર પવનને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, વૃક્ષો તૂટ્યા હતા અને રસ્તાઓ પર પાણી ભરાવાના અહેવાલો પણ મળ્યા હતા. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ઊભા પાકોને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે નાગરિકોને આગામી દિવસોમાં પણ સાવચેત રહેવા અને હળવા વરસાદ તેમજ તીવ્ર પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને સતર્કતા રાખવાની સલાહ આપી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગઇકાલે(18 માર્ચ) એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 7 શખ્સોની ધરપકડ કરી હતી. આ તમામ નોટો 500 રૂપિયાના દરની હતી. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમા નકલી નોટોની હેરાફેરી થતી હતી. નોટોની સપ્લાય માટે કાર પર ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા અને આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ થતો હતો. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી કરી હતી. જેમાં અમદાવાદમાંથી 2.10 કરોડની અને સુરતમાં 80 લાખની નકલી નોટો કબ્જે કરી હતી. આ મામલે સત્યમ યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની પણ ધરપકડ કરાઈ હતી. ત્યારે દિવ્ય ભાસ્કર પણ પ્રદીપ ગુરુજીના ‘રહસ્યલોક’માં પહોંચ્યું હતું. કામરેજના ધોરણ પારડી ગામની સીમમાં ‘સત્યમ યોગ ફાઉન્ડેશન’સુરત કામરેજના ધોરણ પારડી ગામની સીમમાં લગભગ એક વીઘા જમીનમાં ફેલાયેલા આ 'સત્યમ યોગ ફાઉન્ડેશન'ની સૌથી પહેલી ઓળખ તેની રહસ્યમય ઊંચી દીવાલો છે. સામાન્ય રીતે કોઈ પણ આધ્યાત્મિક આશ્રમ ખુલ્લો અને ભવ્ય હોય છે, પરંતુ યોગગુરુ પ્રદીપે તેના આશ્રમની ચારે બાજુ 15 ફૂટ ઊંચી દીવાલો ચણી લીધી હતી. આ દીવાલો પર લોખંડના તારનું ફેન્સીંગ કરવામાં આવ્યું હતું, જેથી બહારથી કોઈ વ્યક્તિ અંદર ડોકિયું પણ ન કરી શકે. સુરતની કોઈ મોટી સ્કૂલમાં પણ ન હોય તેવી આ કિલ્લેબંધી પાછળ પાપ છુપાયેલું હતું. ગેટ ખોલતા જ આલિશાન લાઈફસ્ટાઈલ, ગૌશાળા અને અશ્વશાળામુખ્ય ગેટથી અંદર પ્રવેશતા જ આ આશ્રમ કોઈ સાત્વિક કેન્દ્ર ઓછું અને કોઈ રાજા-રજવાડાનો આલિશાન મહેલ વધુ હોય તેવું દ્રશ્ય દેખાય છે. આશ્રમમાં પ્રવેશતા જ એક બાજુ ગૌશાળા બનાવવામાં આવી છે, જ્યાં ગાયો રાખવામાં આવતી હતી. નવાઈની વાત એ છે કે યોગગુરુ પ્રદીપને ઘોડા પાળવાનો ભારે શોખ હતો, જેના માટે તેણે ખાસ અશ્વશાળા બનાવી હતી. લક્ઝરી ગાડીઓ અને મોંઘાદાટ અશ્વ આ કહેવાતા યોગગુરુની લક્ઝરી લાઈફની સાક્ષી પૂરે છે, જે સામાન્ય યોગીને ક્યારેય પરવડે નહીં. ખાસ ઓફિસના સોફા પર બેસીને રચાતું 'ફેક કરન્સી'નું ષડયંત્રઆશ્રમની અંદર પ્રદીપની એક અત્યંત આધુનિક ઓફિસ આવેલી છે, જે મોંઘા ફર્નિચરથી સજ્જ છે. તપાસમાં સામે આવ્યું છે કે આ એ જ ઓફિસ છે, જ્યાં પ્રદીપ તેના ખાસ સોફા પર બેસીને આખા રાજ્યમાં ફેક કરન્સી સપ્લાય કરવાનું નેટવર્ક ઓપરેટ કરતો હતો. અહીંથી જ નકલી નોટો છાપવાથી લઈને તેના વિતરણ અને બજારમાં ઘુસાડવા સુધીના તમામ પ્લાન તૈયાર કરવામાં આવતા હતા. યોગના બહાને આવતા લોકોની નજરથી બચીને અહીં કરોડો રૂપિયાની નકલી નોટોનું કાળું બજાર ધમધમતું રાખવામાં આવતું હતું. આ પણ વાંચો: સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાંથી નકલી નોટો મળી, પ્રદીપ ગુરુજીની ધરપકડ યોગાશ્રમમાં રહસ્યમય બેઝમેન્ટદિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે આશ્રમની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે પ્રદીપે આખા બિલ્ડિંગમાં મોટા બેઝમેન્ટ બનાવી રાખ્યા હતા. આ બેઝમેન્ટમાં જ નકલી નોટો છાપવાનું મશીન કે અન્ય ગેરકાયદે સામગ્રી છુપાવવામાં આવતી હોવાની પૂરેપૂરી શંકા સેવાઈ રહી છે. હથિયાર અને સંગીતનો અનોખો સંગમ, એક બાજુ સિતાર, બીજી બાજુ તલવારપ્રદીપની ઓફિસમાં અને તેના રહેવાના રૂમમાં તપાસ કરતા કેટલીક અત્યંત ચોંકાવનારી વિગતો જોવા મળી હતી. તેના ખાસ સોફાની એક બાજુ સંગીતનું સાધન સિતાર પડ્યું હતું, તો બરાબર તેની બીજી બાજુ એક તીક્ષ્ણ અને મોટી તલવાર રાખવામાં આવી હતી. યોગગુરુની પવિત્ર છબી ધરાવતો આ શખ્સ હથિયાર અને સંગીત બંને પોતાની પાસે રાખતો હતો. આ દ્રશ્ય તેની બેવડી માનસિકતા દર્શાવે છે કે તે બહારથી સંગીતપ્રેમી યોગી દેખાતો હતો, પરંતુ અંદરથી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો ખતરનાક વ્યક્તિ હતો. રાત્રે યુવતીઓની રહસ્યમય અવરજવરસ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, આ આશ્રમમાં રાતના સમયે અસામાન્ય ગતિવિધિઓ વધી જતી હતી. રાત્રે 12 વાગ્યા પછી અંધારામાં લક્ઝરી ગાડીઓમાં બહારના ગામની અજાણી યુવતીઓ આશ્રમમાં આવતી હતી અને વહેલી સવારે 4 વાગ્યે પરત જતી રહેતી હતી. ગ્રામજનોએ આ બાબતે અનેકવાર શંકા વ્યક્ત કરી હતી કે યોગ અને આયુર્વેદિક સારવારના નામે અહીં કંઈક ગંભીર અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ રાત્રિના વ્યવહારને કારણે આખા ગામના વાતાવરણ પર અને યુવા પેઢી પર અત્યંત ખરાબ અસર પડી રહી હતી. આયુર્વેદિક સારવારના નામે નકલી નોટો છાપવાની મોડસ ઓપરેન્ડીલોકોની નજરમાં અને પોલીસની નજરમાં સારો દેખાવા માટે પ્રદીપ અહીં આયુર્વેદિક સારવારના કેમ્પ અને યોગ શિબિરોનું આયોજન કરતો હતો. પંચકર્મ અને યોગના આસનો શીખવવાના બહાને તે મોટા ઘરના પ્રતિષ્ઠિત લોકોને આશ્રમમાં આમંત્રિત કરતો હતો. આ આધુનિક કોમ્પ્યુટર સિસ્ટમ અને મેડિકલ સાધનોની આડમાં તે પોતાનું નકલી નોટોનું મસમોટું નેટવર્ક સુરક્ષિત રીતે ચલાવી રહ્યો હતો. આ તેની એક એવી સ્કીમ હતી જેમાં કોઈને શંકા ન જાય કે આટલો મોટો યોગગુરુ આવું નીચું કામ કરી શકે છે. સાત વર્ષમાં ઉભું કર્યું કરોડોનું સામ્રાજ્યધોરણ પારડી ગામના લોકોના જણાવ્યા મુજબ, આ જમીન પહેલા ગામના મૂળ નિવાસીઓની જ હતી. લગભગ 10 વર્ષ પહેલા આ જમીન રીસેલ થઈ અને 7 વર્ષ પહેલા પ્રદીપ નામના આ શખ્સે અહીં પગ પેસારો કર્યો હતો. આવતાની સાથે જ તેણે મોટા પાયે પુરાણકામ અને આલિશાન બાંધકામ શરૂ કર્યું હતું. જ્યારે તેણે 15 ફૂટની દીવાલો બનાવવાનું શરૂ કર્યું, ત્યારે ગામના લોકોએ વિરોધ કર્યો હતો, પરંતુ તેણે આ બધું અંગત સુરક્ષા અને યોગની એકાગ્રતા માટે હોવાનું બહાનું કાઢ્યું હતું. ખોટા કામોને કારણે પત્નીએ લીધા છૂટાછેડાપ્રદીપના અંગત જીવનની વાત કરીએ તો, આશ્રમમાં હાલમાં તેના વૃદ્ધ પિતા અને માતા તેની સાથે રહે છે, પરંતુ તેની પત્ની છેલ્લા પાંચ વર્ષથી તેની સાથે રહેતી નથી. ગ્રામજનોમાં ચર્ચાતી વાતો મુજબ, પ્રદીપના આશ્રમમાં ચાલતા ખોટા કામો અને અસામાજિક પ્રવૃત્તિઓને કારણે જ તેની પત્નીએ તેની સાથે છેડો ફાડી નાખ્યો હતો અને કંટાળીને ડિવોર્સ લઈને પિયર ચાલી ગઈ હતી. એક પત્ની પોતાના પતિના કાળા કારનામા સહન ન કરી શકી અને આખરે તેનો સંસાર પણ વેરવિખેર થઈ ગયો હતો. ‘સત્યમ’ હેર સલૂનથી 'સત્યમ યોગ ફાઉન્ડેશન' સુધીની સફરપ્રદીપ સૌથી પહેલા રાજકોટમાં 'સત્યમ' નામથી હેર સલૂન ચલાવતો હતો. ત્યાં ક્રિષ્ના નામની યુવતી સાથે લગ્ન કર્યા બાદ તે સુરત આવી ગયો હતો. ધીમે ધીમે તેણે YouTube અને સોશિયલ મીડિયા પર યોગના અલગ-અલગ આસનોના વીડિયો મૂકવાની શરૂઆત કરી હતી અને એક અનુયાયી વર્ગ ઊભો કર્યો હતો. ત્યારબાદ તેણે 'સત્યમ યોગ ફાઉન્ડેશન' નામની સંસ્થા ઊભી કરી હતી. ગામના લોકોના જણાવ્યા મુજબ, તેણે લોકો પાસેથી પૈસા એકઠા કરી પોતાના નામે આ જમીન ખરીદી હતી. પોલીસ તપાસમાં હજુ મોટા ખુલાસાની શક્યતાહાલમાં નકલી નોટોના આ માસ્ટરમાઇન્ડ પ્રદીપને પોલીસે સકંજામાં લીધો છે અને આશ્રમના ખૂણેખૂણામાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ આશ્રમમાં માત્ર 2 કરોડની નકલી નોટો જ છપાતી હતી, કે પછી અહીં કોઈ મોટા દેહવિક્રયના રેકેટ કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ચાલતી હતી? તાપી કિનારે આવેલો આ આલિશાન આશ્રમ હવે ગુનાખોરીના એક એવા મધ્યબિંદુ તરીકે ઉભરી રહ્યો છે, જેણે સમગ્ર દક્ષિણ ગુજરાતને હચમચાવી દીધું છે. આ પણ વાંચો: 100, 200, 500… માગો એટલી નકલી નોટ
દેશમાં હાલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે, ઘરેલું ગેસ સિલિન્ડર ના મળતા ગૃહિણીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે ગેસ સિલિન્ડરની સમસ્યાને લઈ દિવ્ય ભાસ્કર અમદાવાદની ગૃહિણીઓ પાસે પહોંચ્યું હતું અને તેમને પડતી મુશ્કેલીઓ જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે, ગેસ સિલિન્ડરની અછત વચ્ચે તમે કઈ રીતે મેનેજ કરો છો. તો આવો જાણીએ અમદાવાદી ગૃહિણીઓએ શું-શું કહ્યું...
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમરાઈવાડીમાંથી 2.10 કરોડની નકલી નોટો સાથે યોગ ગુરૂ પ્રદીપ જોટંગીયા સહિત કુલ 7 આરોપીની ધરપકડ કરી છે. આ ઓપરેશન 18 માર્ચ 2026ના શરૂ થયું હતું અને 19 માર્ચ બપોરે 3 વાગ્યા સુધી ચાલ્યું હતું. બાતમીના આધારે પીઆઇ અને તેમની સાથેના 24 પોલીસકર્મી સવારથી અમરાઈવાડી મેટ્રો સ્ટેશન પાસે ઊભા હતા. રસ્તા પર આવતી જતી તમામ ગાડીઓ પર પીઆઇ સહિતના પોલીસકર્મીઓ નજર રાખીને બેઠા હતા. બપોરે 3 વાગ્યે એક ફોર્ચ્યુનર કાર દેખાઈ અને તેને ઉભી રખાવી હતી. આ ફોર્ચ્યુનર કારમાંથી નકલી નોટો ભરેલી બેગ સાથે આવેલા યોગ ગુરૂ પ્રદીપ સહિત 7 લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડ્યા બાદ યોગ ગુરૂએ પોલીસને કહ્યું કે, માર જ કર્મ મને અહીં લાવ્યા છે, આ મારી ભૂલ છે. બાતમી મળતા જ PIએ 24 પોલીસકર્મી સાથે ઘટનાસ્થળે વોચ ગોઠવીઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એસ. જે. જાડેજાને 18 માર્ચના એક બાતમી મળી હતી કે, સુરતથી એક સફેદ કલરની 5252 નંબરની કાર નકલી ચલણી નોટોના મોટા જથ્થા સાથે અમદાવાદ આવી રહી છે. બાતમી મળતા જ પીઆઇ જાડેજા 4 PSI અને 20 પોલીસકર્મીઓ સાથે અમરાઈવાડી પહોંચી ગયા હતા. પૈસા ભરેલી કાર આવતી હોવાથી અલગ અલગ ટીમ બનાવીને પોલીસકર્મીઓ અલગ અલગ જગ્યાએ ઉભા હતા. સવારથી રાહ જોતી પોલીસને બપોરે સફેદ કલરની એક કાર દેખાઈપોલીસે આવતી જતી અનેક કાર જોઈ પરંતુ તેમને GJ 05 અને 5252 નંબરની સફેદ કારની તલાશ હતી. બપોર સુધી રાહ જોયા બાદ લગભગ 3 વાગ્યાની આસપાસ એક સફેદ કાર આવી રહી હતી. જે નજીક આવતા તેનો નંબર જોયો અને પોલીસે એકબીજાને ઈશારો કરી તમામ ભેગા થઈ ગયા હતા. પોલીસે કારને મેટ્રો બ્રિજના પિલ્લર નં. 29 અને 30ની વચ્ચે રોકી લીધી હતી. કારમાંથી એક બેગ અને બોક્સમાંથી 500ના દરની નકલી નોટો મળીપોલીસે કાર રોકી પરંતુ નંબર પ્લેટની ઉપર સરકારી પ્લેટ હોય તેમ શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન રજિસ્ટર્ડ બાય આયુષ મંત્રાલય, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હતું. જોકે, નંબર 5252 જ હતો, જેથી પોલીસે કારમાંથી તમામ લોકોને નામ પૂછીને નીચે ઉતાર્યા હતા. પોલીસે કારમાં તપાસ કરી ત્યારે તેમાંથી કાળા કલરની એક બેગ અને એક બોક્સ મળ્યું હતું. જેમાં રૂપિયા 500ના દરની સેંકડો નોટો મળી આવી હતી. યોગ ગુરૂ પ્રદીપે પોલીસને કહ્યું 'મારા કર્મ જ મને અહીંયા લાવ્યા છે'નોટો મળતા જ પોલીસે પૂછ્યું ત્યારે તમામે નકલી નોટો હોવાનું કબૂલ્યું હતું. યોગ ગુરૂ પ્રદીપને પણ પોલીસે પૂછ્યું ત્યારે તેણે સ્વીકાર્યું કે આ નકલી નોટો છે. પ્રદીપે પોલીસને એવું પણ કહ્યું કે, આ બધા માર કર્મ જ છે, મારા કર્મ જ મને અહીંયા લઈને આવ્યા છે. આ મારી ભૂલ છે. પોલીસે તાત્કાલિક તમામ મુદ્દામાલ સાથે એક મહિલા સહિત તમામની અટકાયત કરી અને ક્રાઈમ બ્રાન્ચ લઈ આવ્યા હતા. પોલીસકર્મીઓએ એક જ કપડામાં 24 કલાક ફરજ બજાવી18 માર્ચ બપોરે 3 વાગ્યાથી કેસની શરૂઆત થઈ હતી જે 19 માર્ચના બપોરે 3:20 વાગ્યા સુધી ચાલ્યો હતો. કાર્યવાહી માટે ગયેલા પીઆઇ અને તેમની ટીમ 18 માર્ચથી એક જ કપડામાં ક્રાઈમ બ્રાન્ચમાં હાજર હતા. આરોપીને ક્રાઈમ બ્રાન્ચ લાવ્યા બાદ પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવ્યું હતું. જેમાં 24 કલાક જેટલો સમય થયો હતો. નોટની સંખ્યા વધુ હોવાથી ગણતરી કર્યા બાદ તેનો સીરિયલ નંબર લખવામાં પોલીસને લાંબો સમય લાગ્યો હતો. આરોપીઓએ અગાઉ 20 લાખની નકલી નોટો વટાવી હતીઆરોપીઓ છેલ્લા 6 મહિનાથી નકલી નોટો બનાવતા હતા. જેમાં અગાઉ 20 લાખની નોટો તો બજારમાં વટાવી પણ દીધી હતી. અત્યારે અમદાવાદથી 2.10 કરોડ અને સુરતથી 28 લાખની નકલી નોટો મળી આવી છે. સુરતમાં તપાસ કરતા હજુ પણ 4800 નકલી નોટો બની શકે તેટલો સામાન પડ્યો હતો. જોકે, પોલીસે તમામ સામાન જપ્ત કર્યો છે. સુરતથી નોટો અમદાવાદ લાવવા પ્રદીપ અને મહિલાની મદદ લેવાઈનકલી નોટો બનાવવા માટે પ્રદીપના યોગ આશ્રમમાં પણ પ્રદીપે આરોપીની એકબીજા સાથે મુલાકાત કરાવી હતી. સુરતથી નોટો અમદાવાદ લાવવાની હતી તેમાં પણ પ્રદીપ અને મહિલાની મદદ લેવામાં આવી હતી. કારમાં મહિલા હોય તો તપાસ ન થાય અને પ્રદીપ યોગ ગુરૂ હોવાથી કાર ચેક નહીં થાય તેવો આરોપીઓને વિશ્વાસ હતો. ચાઇનીઝ એજન્ટો પાસેથી સિક્યોરિટી થ્રેડ પેપર ખરીદ્યાનોટો પર RBI અને ભારત લખેલી ગ્રીન કલરના સિક્યોરિટી થ્રેડ પેપર મેડ ઇન ચાઈના ડોટ કોમ (MADEINCHAINA.COM) અને અલિબાબા ડોટ કોમ (ALIBABA.COM) જેવી વેબસાઈટ પર ચાઈનીઝ એજન્ટોનો સંપર્ક કરી અલી પે નામથી પેમેન્ટ ગેટ-વે મારફતે પૈસા મોકલી સિક્યોરિટી થ્રેડ પેપર મંગાવ્યા હતા. આ પેપર સ્ટેશનરીની આડમાં આવ્યા હતા.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
ગુજરાતમાં વકીલાત કરવા માટે LLBની ડિગ્રી વેચાઈ રહી છે અને એ પણ હપ્તેથી. જાણે કોઈ મકાન-મિલકતના હપ્તા ભરતા હોવ એવી રીતે EMI પર રૂપિયા ચૂકવો અને દેશની નામાંકિત યુનિવર્સિટીની ડિગ્રી મેળવો. દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં સામે આવેલી હકીકત કોઈને પણ ચોંકાવી શકે છે અને એ સંભાવનાને પણ નકારી ન શકાય કે દેશની કોર્ટમાં જજ સામે ન્યાય માટે દલીલ કરનાર વકીલની ડિગ્રી જ નકલી હોય. હિડન કેમેરામાં કેદ થયેલા એજન્ટોની ગેરંટી તો એવી કે તમને પાછલા વર્ષની ડિગ્રી અપાવીશું. એટલે તમને જૂના વિદ્યાર્થી બતાવાશે અને યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પર રોલનંબર નાખવાની 2016, 2017 જેવા વર્ષમાં ભણ્યા હોય એવો તમારો તમામ ડેટા પણ દેખાશે. એટલે એજન્ટની ભાષામાં કહી તો એકદમ જેન્યુઇન કામ. અમને જાણકારી મળી કે ગુજરાતના મોટા શહેરોમાં કેટલાક એજન્ટો એક્ટિવ છે. જે કોઈપણ વર્ષ માટે ગમે તે કોર્સની ડિગ્રી અપાવી શકે છે. ડિગ્રી પ્રમાણે બધાનો ભાવપત્રક જુદો હોય. તમે માગો એ ડિગ્રી ગણતરીના દિવસોમાં આવી જાય અને એ પણ યુનિવર્સિટી માન્ય. ચોંચાવનારી વાત તો એ પણ છે કે જ્યારે વેરિફિકેશન થાય તો પણ ખબર ન પડે એ વાતની પણ ગેરંટી. આ વાત અમારા માટે ખરેખરમાં આંચકાજનક હતી. એટલે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું. અમને એક મોબાઇલ નંબર મળ્યો હતો. અમે પોતાની ઓળખ વિદ્યાર્થી તરીકે આપીને એકેડમીનો સંપર્ક કર્યો. ફોન પર અમારી વાતચીત હિરલ નામની એક યુવતી સાથે થઈ. તેણે ગ્રેજ્યુએશન ક્યારે પૂરું કર્યું, કઈ ડિગ્રી મેળવવી છે એ વિશે પૂછ્યું. અમે LLBની ડિગ્રી લેવાની તૈયારી દર્શાવી. આ વાતચીત દરમિયાન જ હિરલને વિશ્વાસ આવી ગયો. એટલે આગળની ચર્ચા માટે તેણે રૂબરૂ મુલાકાત કરી લેવા પર ભાર આપ્યો. પ્રાથમિક પૂછપરછથી અમને પણ ખ્યાલ આવી ગયો કે અહીંયાં ખૂબ મોટાપાયે ગેરરીતિ ચાલી રહી છે, એટલે અમે પણ રૂબરૂ મિટિંગ માટે તૈયાર થઈ ગયા. હિરલે થોડી જ વારમાં વ્હોટ્સએપ પર અમને સરનામું અને લોકેશન મોકલી આપ્યું. ઘરે બેઠાં કાંઈ કર્યા વગર જ LLBની માર્કશીટ મેળવવા માટેની ફી લાખો રૂપિયામાં હતી. એટલે લાલચ તો એજન્ટને પણ ખરી જ! થોડા જ દિવસોમાં અમને સામેથી ફોન આવવા લાગ્યા. આખરે, હિડન કેમેરા સાથે અમે અમદાવાદના CTM વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં પહોંચી ગયા, જ્યાં મેપલ લર્નિંગ એન્ડ સ્કીલ સેન્ટર નામથી એક સંસ્થાના ઓથા હેઠળ વેચાતી ડિગ્રીની એજન્સી ચાલે છે. CTM વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સ એકદમ ખખડધજ હાલતમાં છે. જેમાં અલગ-અલગ ક્લાસિસ તેમજ હોટલ પણ ચાલી રહી છે. અમે અમને અપેલા સરનામા પ્રમાણે ત્રીજા માળે પહોંચી ગયા. ઓફિસમાં પહોંચતા જ આસપાસ લાગેલા પોસ્ટર પરથી ખ્યાલ આવી ગયો કે અહીંયાં માત્ર LLB જ નહીં, બીજા ઘણા બધા કોર્સ ચાલે છે. જેમ કે સિક્કીમ રાજ્યમાંથી ધોરણ 10 અને 12ની પરીક્ષા પાસ કરો, બેચલર ઓફ આર્ટ્સ, બેચલર ઓફ કોમર્સ અને સાયન્સના પણ બોર્ડ લાગેલા હતા. આ ઉપરાંત નર્સિકના અલગ-અલગ કોર્સની પણ જાહેરાત હતી. આ બધુ જોતા એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે શિક્ષણના નામે અહીંયાં ખૂબ મોટો ગોરખધંધો ચાલી રહ્યો છે. અમે ઓફિસમાં પહોંચ્યા, થોડવાર પછી એક યુવતી રિસેપ્શન પર આવી અને ત્યાં આવવા માટેનું કારણ પૂછ્યું. અમે “LLBની ડિગ્રી માટે આવ્યા છીએ” એમ કહેતા જ એક ફોર્મ કાઢ્યું. નામ અને કેટલે સુધી ભણ્યા છો એવા બે જ ટૂંકા સવાલ કરીને ફોર્મ ભરવા માટે આપી દીધું. આ ફોર્મ એકેડમીનું પોતાનું હતું. કોઈ કોલેજ કે યુનિવર્સિટીનું નહોતું. જેમાં આ એકેડમી ISO 9001:2015 સર્ટિફિકેટ માન્ય હોવાનું લખ્યું હતું. ફોર્મમાં એકદમ સામાન્ય વિગતો ભરવાની હતી. જેમ કે નામ, સરનામું, કયા કોર્સમાં એડમિશન લેવું છે. આવી વિગતો ભરીને ફોર્મ આપી દીધું. યુવતીએ ફોર્માંથી કેટલીક વિગતો એક રજિસ્ટરમાં નોંધી અને પછી ફોર્મ લઈને એક ચેમ્બરમાં જતી રહી. લગભગ 45 સેકન્ડમાં એ પરત આવી અને અંદર બેસેલા મેડમની મળી લેવા માટે કહ્યું. હવે પછીનો જે ઘટનાક્રમ હતો એ એકદમ નાટકીય હતો. કારણ કે અમારી મુલાકાત ચેમ્બરમાં બેસેલી એક મહિલા સાથે થઈ, જેણે પોતાની ઓળખ લક્ષ્મી તરીકે આપી. જેણે પોતાના પહોંચ અને સેટિંગ કેટલા ઊંચા પાયે છે તેનો પરચો થોડી જ મિનિટોમાં આપી દીધો. આ બધુ જ હિડન કેમેરામાં કેદ થતું ગયું. વાંચો, લક્ષ્મી સાથેની વાતચીતના કેટલાક અંશો… લક્ષ્મી, સેન્ટર સંચાલક- કયા વર્ષમાં 12મુ ભણ્યારિપોર્ટર- 2016માં મારું ગ્રેજ્યુએશન પુરું થયું લક્ષ્મી, સેન્ટર સંચાલક- ક્યાંથી કર્યુંરિપોર્ટર- IGNOUમાંથી લક્ષ્મી, સેન્ટર સંચાલક- કોઈના મારફતે કરાવ્યું હતું કે જાતે જ કર્યું હતું?રિપોર્ટર- જાતે જ કર્યું હતું. લક્ષ્મીનો આ સવાલ ઘણું કહી જતો હતો. કારણ કે તેના માટે સેટિંગથી પરીક્ષા પાસ કરવી કે ડિગ્રી મેળવવી એકદમ સામાન્ય વાત લાગી. એટલું જ નહીં, અમે કોઈ માગણી કરી નહીં તેમ છતાં IGNOUમાંથી ડિગ્રી મેળવી આપવાની સંભાવતા બતાવી દીધી. લક્ષ્મી, સેન્ટર સંચાલક- ટ્રાય કરીશ કદાચ IGNOU સીટ હશે તો… મારી પાસે આવે છે IGNOUનું. તમારે LL.B કરવું છે ને?રિપોર્ટર- હા લક્ષ્મી, સેન્ટર સંચાલક- પણ અત્યારે મારી પાસે જોધપુર નેશનલ યુનિવર્સિટીનું છે. આટલું બોલતાની સાથે જ તે એક કોરું કાગળ તેમજ પેન લઈ અને કાગળ પર કેટલીક માહિતી ટપકાવવા લાગી. થોડુંક કાંઈ લખીને પછી અમારી સામે લેમિનેશન કરેલી 4 માર્કશીટ મૂકી દીધી. એટલે કે અમને અન્ય કોઈ વ્યક્તિની માર્કશીટ નમૂનારૂપે જોવા માટે આપી દીધી. લક્ષ્મી, સેન્ટર સંચાલક- તમને માર્કશીટ, ડિગ્રી, પ્રોવિઝનલ, માઇગ્રેશન મળી જશે. અમે આશ્ચર્યચકિત થઈને લેમિનેશન કરેલી 4 માર્કશીટની વિગતો વાંચવાની શરૂ કર્યું. લક્ષ્મી, સેન્ટર સંચાલક- એક B.Scની હશે અને એક BAની હશે. તમારું (સર્ટિફિકેટ) પણ આવું જ આવશે. બસ ફરક એટલો રહેશે કે તમારા માર્ક્સ, સબ્જેક્ટને એ બધુ LLBનું હશે. તમારું 2016નું છે. તો 2017ની ગણતરીએ ચાલવું હોય અથવા તો 2021થી પણ કરી શકો છો. તમારે LLB કરીને શું કરવાનું છે? રિપોર્ટર- મારા કુટુંબમાં ઓલરેડી 3 લોકો છે. મને LLBમાં પહેલાથી રસ છે. 2016 પછી પોલીસની ભરતી આવી ત્યારે પરીક્ષા આપવા માટે કાયદાના વિષય પર વાચ્યું હતું. મારે સરકારી નોકરીમાં જવું છે. એટલે કાયદા સહાયકની ભરતી આવે એમાં કામ લાગે. લક્ષ્મી, સેન્ટર સંચાલક- આ તો હું તમને કરાવી દઈશ. પણ વકીલાત માટે બાર કાઉન્સિલનું રજિસ્ટ્રેશન કરાવવું પડે. એટલે એની પરીક્ષા આપવી પણ ફરજિયાત થઈ ગઈ છે. એટલે એ તૈયારી રાખજો. કારણ કે અહીંયાં રજિસ્ટ્રેશન થઈ જશે એનો કોઈ ઈશ્યુ નથી. રિપોર્ટર- મને શંકા હતી એટલે મારે પર્સનલી આવવું પડ્યું. ભલે મને જોધપુર યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું પણ મારું નામ એમની વેબસાઇટ પર હશે? કેમ કે (ભવિષ્યમાં) વેરિફિકેશન તો થશે જ. એમાં કોઈ ઇશ્યુ આવે તો? લક્ષ્મી, સેન્ટર સંચાલક- ગૂગલ પર જઈને જોધપુર નેશનલ યુનિવર્સિટી સર્ચ કરો. વેબસાઇટ ખુલે એટલે સ્ટુડન્ટ ઝોન પર જઈને રિઝલ્ટ પર ક્લિક કરો, ત્યાં તમને તમારું રિઝલ્ટ મળી જશે. ક્યાંય પણ તમે આગળ રિઝલ્ટ આપો એટલે તમારું વેરિફિકેશન RTI મારફતે થાય. તો એ તમારું થઈ જશે. રિપોર્ટર- મને આ જ શંકા છે.લક્ષ્મી, સેન્ટર સંચાલક- એ તો તમારી શંકા દૂર કરીને. શંકા તો હોવી જ જોઈએ. ના હોય તો મતલબ નથી. જો તમારે આગળ ક્યાંક જવું હોય, પાસપોર્ટ વેરિફિકેશન છે કે કાંઈ પણ કરાવવું હોય તો એ પણ થઈ જશે. એનો કોઈ જ ઈશ્યુ આવશે નહીં. મારો વિચાર એવો છે કે તમારું 2016થી ગોઠવું. (ગ્રેજ્યુએશન પુરું કર્યું એ વર્ષ) એટલે તમે 2016 પછી શું કર્યું એ મને એક્ટિવિટી કહી દો. રિપોર્ટર- મેં 2016 પછી પોલીસની ભરતીની તૈયારી કરી. લક્ષ્મી, સેન્ટર સંચાલક- ઓકે. એના સિવાય કશું નહીં ને? જેમ કે કોલેજમાં એડમિશન લીધું હોય, એકાદ વર્ષ કર્યું હોય અને પછી મુકી રાખ્યું હોય. કેમ કે મારે આમાં ક્લિયર જોઈએ. રિપોર્ટર- ના… બીજે ક્યાંય હું ભણ્યો નથી. લક્ષ્મી, સેન્ટર સંચાલક- કેમ કે આ ડિગ્રી કેવી છે એ તમને પણ ખબર છે. જેની પાસે પ્રોપર નોલેજ હોય એ જ ડિગ્રી લઈ શકે. નોલેજ ન હોય તો મતલબ નથી. ગૂગલ પર તમે આ બધું મુકશે એટલે તમારું આવી જ જશે. એટલે હું તમારી 2017-18ની એક્ટિવિટી પુછું છું. અમારી વાતચીત આગળ ચાલી. આ મિટિંગ પહેલાં હિરલ નામની એક એજન્ટે અમને વ્હોટ્સએપ પર લિંક મોકલી હતી, જેનાથી જોધપુર નેશનલ યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈને ઓનલાઇન ડિગ્રી ચેક કરી શકાય. અમને વિશ્વાસ અપાવવા માટે લક્ષ્મીએ પણ આ જ લિંક ખોલી. ટેબલ પર જે માર્કશીટ હતી એમાંથી ત્રીજા વર્ષની માર્કશીટ પર લખેલો રોલ નંબર નાખ્યો અને અમારી નજર સામે જ ખરાઈ કરાવી કે રૂપિયા આપીને જે માર્કશીટ મળે છે એનો ડેટા યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પર પણ છે. કોઈપણ વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય એવો ઘટનાક્રમ હતો. ટેબલ જે નકલી માર્કશીટ હતી તેનો ડેટા અમને યુનિવર્સિટીની વેબસાઇટ પર જોવા મળ્યો. જે બરોબર મેચ પર થતો હતો. છતાં ફરીથી સવાલ કર્યો કે, બેન પછી કોઈ તકલીફ નહીં થાય ને.. લક્ષ્મી, સેન્ટર સંચાલક- કાંઈ જ તકલીફ નહીં થાય, હું તમને બધુ જેન્યુઇન કરાવીશ. જેન્યુઇન છે એટલે જ ફી છે. નહીં તો કરવાવાળા 80-90 હજારમાં કરી આપે છે. મારે તો ટોટલ ફી જ 2 લાખ 80 હજાર છે. હું એનાથી ઓછું લેતી નથી અને થતું પણ નથી. કારણ કે હું કામ જેન્યુઇન કરીશ. આખુ LLB પ્રોપરલી જેન્યુઇન થઈ જશે. જો BA, LLB કરવું હોય તો 3 લાખ 10 હજાર છે. તમે ગ્રેજ્યુએટ છો એટલે 2 લાખ 80 હજાર રૂપિયામાં તમારું LLB થઈ જશે. રિપોર્ટર- મારે જોધપુર જવાનું થશે કે નહીં?લક્ષ્મી, સેન્ટર સંચાલક- કશું જ નથી કરવાનું રિપોર્ટર- મને માર્કશીટ ક્યારે મળે?લક્ષ્મી, સેન્ટર સંચાલક- પહેલા તમારે અડધી ફી એટલે કે 1 લાખ 40 હજાર ભરીને એડમિશન લેવાનું છે. પછી તમારી (માર્કશીટ બતાવતા કહ્યું) આવી સ્કેન કોપી ઓનલાઇન ફોનમાં આવશે. ત્યારે બાકીના રૂપિયા અડધા-અડધા આપવાના થશે. એટલે કે 70-70 હજારના બે હપ્તા આપવાના. રિપોર્ટર- આ બધી પ્રોસેસ કેટલા સમયમાં પુરી થઈ જાય?લક્ષ્મી, સેન્ટર સંચાલક- 60 દિવસ. મારી પાસે આ શીટ (ટેબલ પર પડેલી માર્કશીટ) સાત-આઠ દિવસ માટે જ છે. પણ બીજી યુનિવર્સિટીની શીટ પણ મારી પાસે હમણા આવશે. લક્ષ્મીએ આ બધુ સમજાવતા-સમજાવતા તમામ વિગતો કાગળ પર પણ લખતી જતી હતી. રાજસ્થાનની જોધપુર નેશનલ યુનિવર્સિટીમાંથી રૂપિયા આપીને માર્કશીટ લાવી આપવાનો પર્દાફાશ થઈ ચૂક્યો હતો. હવે અમે અન્ય યુનિવર્સિટી વિશેની ખણખોદ કરવા સવાલો પૂછવાનું શરૂ કર્યું. જેમાં લક્ષ્મીએ હિમાચલ પ્રદેશના કાંગરામાં આવેલી અર્ની યુનિવર્સિટી સાથે સેટિંગ હોવાનું પણ કબૂલી લીધું. રિપોર્ટર- તમે પ્રયાસ કરો કે IGNOUનું કાંઈ થઈ શકતું હોય. લક્ષ્મી, સેન્ટર સંચાલક- જુઓ… મારી પાસે અર્ની યુનિવર્સિટીની પણ આવવાની છે. એ યુનિવર્સિટી સારી છે. તમે આનું (IGNOUનું) કહો છો એ પૂછી જોઉં છું. રિપોર્ટર- IGNOUમાં LL.B થાય છે?લક્ષ્મી, સેન્ટર સંચાલક- એ મને નથી ખબર પણ મારી પાસે BA, B.Com કરાવ્યું છે એટલે હું પૂછી જોઉં છું. થતું હોય તો ના ક્યાં છે? એક સરખું થઈ જાય ને… જ્યારે ગુજરાતની કોઈ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ લાવી આપવાની વાત કરી તો લક્ષ્મીના ચહેરાના ભાવ અચાનક બદલાઈ ગયા. એકદમ નિરાશા સાથે કહ્યું, બીજી બધી જગ્યાએ આવું થાય છે પણ ગુજરાતમાં થતું નથી. રિપોર્ટર- કદાચ આમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે ગુજરાત યુનિવર્સિટીમાંથી થાય તો…લક્ષ્મી, સેન્ટર સંચાલક- ચોખ્ખી વાત કહું! આખા ગુજરાતમાં ક્યાંય નથી થતું. ગોતી લ્યો. થાય તો મને કહી દેજો. પણ આપણું ગુજરાત સૌથી બેકાર છે. અન્ય બધી જગ્યાએ બધુ થાય છે. આપણે ફક્ત ગુજરાતમાં જ નથી થતું. કેમ અહીંયાંના લોકો બહારથી કરે છે? કારણ કે ગુજરાતમાં થતું જ નથી ને. કોઈ જગ્યાએ શક્ય જ નથી. રિપોર્ટર- જોધપુર યુનિવર્સિટી ચાલુ તો છે ને.. લક્ષ્મી, સેન્ટર સંચાલક- ચાલુ છે. એટલે તો કહું છું. ગૂગલ સર્ચ કરો તમને બધુ મળી જશે. વેબસાઇટ પર જાવ, યુનિવર્સિટી UGC અપ્રૂવ્ડ તો છે જ. સાથે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પણ અપ્રુવ કરેલું છે, તો જ LL.B કરી શકો ને. “હું તમારું 2017થી (એડમિશન) લઈશ. જો શક્ય હશે તો 2016થી પણ લઈ લઈશ. મારે તમારી લાસ્ટ માર્કશીટ જોવી પડશે. એટલે એડેકેમિક યર ક્યારે પુરું થાય છે. એ પ્રમાણે હું યુનિવર્સિટીને વર્ષ મૂકવાનું કહી દઈશ. એ લોકો લગાવી દેશે. આપણે કહેવું પડે કે કયું વર્ષ જોઈએ, એ પ્રમાણે થાય. મારી પાસે બીજી શીટ પણ આવશે, તમારે ઉતાવળ નથી કરવાની. BA, LLB તો હું જોધપુરથી જ કરાવું છું પણ….” વાત કરતા-કરતા લક્ષ્મીએ એક વેબસાઇટ ખોલી, જે હિમાચલ પ્રદેશના કાંગરામાં આવેલી અર્ની યુનિવર્સિટીની હતી. તેના પર વિગતો વાંચવા માંડી. તેનો દાવો હતો કે અર્ની યુનિવર્સિટીનું સર્ટિફિકેટ પણ તે અપાવી શકે છે. એટલે LLB માટે અમને જોધપુર યુનિવર્સિટી ઉપરાંત અર્ની યુનિવર્સિટીનો વિકલ્પ પણ આપ્યો. લક્ષ્મી, સેન્ટર સંચાલક- તમારા ગ્રેજ્યુએશનમાં કેટલા ટકા છે?રિપોર્ટર- 50 ટકા છે. લક્ષ્મી, સેન્ટર સંચાલક- 45થી ઓછા એ લોકો ચલાવી નહીં લે. લક્ષ્મીએ પોતાનો નંબર આપ્યો અને આગળની અપડેટ માટે મેસેજ કરવા કહ્યું. સાથે જ આ નંબર પર માર્કશીટ આપવા પણ કહ્યું. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે અમે પરિવારને બતાવવા માટે અન્ય વિદ્યાર્થીની માર્કશીટનો ફોટો પાડવાની પરવાનગી માગી તો તેમણે એક વિદ્યાર્થીની માર્કશીટની પીડીએફ ફાઇલ જ વ્હોટ્સએપ મારફતે મોકલી દીધી. રિપોર્ટર- આ છોકરાઓ ગુજરાતના જ છે?લક્ષ્મી, સેન્ટર સંચાલક- હા.. હમણાં જ એડમિશન થયું છે અને એ લોકો માર્કશીટ લેવા આવશે. એટલે જ ટેબલ પર પડી છે. નહીં તો પીડીએફ જ બતાવું. એમનું પ્રોવિઝનલ આવવાનું બાકી છે એટલે ફોન નથી કર્યો. તમારે બાર કાઉન્સિલની પરીક્ષા આપવાની હોય એટલે જોધપુરથી NOC જોઈશે, મારે એની પણ વાત કરવી પડશે. રિપોર્ટર- એટલે અહીં NOC માગે જ છે?લક્ષ્મી, સેન્ટર સંચાલક- માગે ન માગે, આપણે લઈ લેવાનું. માગે ન માગે તેલ લેવા ગયું. માગે તો કહી દેવાનું લે. લગભગ મેં પહેલાં કઢાવ્યું હતું એટલે યાદ છે. સિક્કીમ સ્કિલ યુનિવર્સિટીમાંથી મેં BA, LL.B કરાવ્યું હતું ત્યારે મેં NOC લીધી હતી. એટલે હું સરને આજે વાત કરી લઉં કે આમાં કયા-કયા કાગળ ઉપયોગમાં આવે. રિપોર્ટર- કુલ કેટલી માર્કશીટ આવશે 6?લક્ષ્મી, સેન્ટર સંચાલક- ના… વર્ષ પ્રમાણે છે એટલે 3 આવશે. પ્રોવિઝનલ અને ડિગ્રી સર્ટિફિકેટ પણ આવશે. કદાચ રજિસ્ટ્રેશન માટે કોઈ કાગળ માગે તો આપણે પાછળથી યુનિવર્સિટીમાંથી લઈ શકીએ છીએ. એક છોકરાએ મારી પાસે ટ્રાન્સસ્ક્રિપ્ટ સર્ટિફિકેટ માગ્યું છે. રિપોર્ટર- હા… વિદેશ જવા માટે જોઈએ છે. મારે પણ મેળ પડે તો વિદેશ જવાની ગણતરી ખરી.લક્ષ્મી, સેન્ટર સંચાલક- તો આ સર્ટિફિકેટ તમારે પણ લઈ જ લેવાનું. મળી જ જાય. રિપોર્ટર- ફોરેનની યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તો વાંધો ન આવે ને.લક્ષ્મી, સેન્ટર સંચાલક- મળી જાય ને. એ લોકો શું માગે આપણને ખબર ન હોય પણ યુનિવર્સિટીમાંથી મળી જાય. કોઈ ઈશ્યુ જ નથી. રિપોર્ટર- વિદેશની યુનિવર્સિટીમાં એડમિશન કરાવી શકો છો?લક્ષ્મી, સેન્ટર સંચાલક- મારી પાસે એક કોન્ટેક્ટ છે, હું તમને કહીશ. રિપોર્ટર- મારી ગણતરી જર્મની જવાની છે. લક્ષ્મી, સેન્ટર સંચાલક- હા તો મને કહેજો… હું તમને કરાવી દઈશ. રિપોર્ટર- મારે ડોક્યુમેન્ટ શું આપવાના?લક્ષ્મી, સેન્ટર સંચાલક- 10, 12ની માર્કશીટ, આધાર કાર્ડ, ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ અને ફોટો. આ બધુ પીડીએફમાં આપજો. આટલી વાતચીત પરથી સ્પષ્ટ ખ્યાલ આવી ગયો કે અમદાવાદમાં એજ્યુકેશન એકેડમીના નામે ચાલતા આ સેન્ટરના તાર રાજસ્થાન જ નહીં, હિમાચલ પ્રદેશ અને સિક્કીમ સુધી ફેલાયેલા છે. લોકો આવે છે, મોં માગ્યા રૂપિયા આપીને ડિગ્રી લે છે અને કોઈને કાનોકાન ખબર નથી પડતી. ઇન્વેસ્ટિગેશનના આગળના પડાવમાં અમે જોધપુર નેશનલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિઉત્તર મળ્યો નથી. આ ગંભીર પ્રકરણમાં તેમનો જવાબ આવશે તો આ સમાચારમાં ઉમેરી દેવામાં આવશે.
શહેરના છાણી ગામની યુવતીને ગૃહ ઉદ્યોગ ચલાવી પાપડી વેચતા યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જોકે તેનાં માતા-પિતાને આ સંબંધો મંજૂર ન હતા. જેને પગલે તેમણે દીકરીના લગ્ન તેનાથી 10 વર્ષ મોટા યુવક સાથે નક્કી કરી દેતાં દીકરીએ અભયમની મદદ માગી હતી. યુવતીને માતા-પિતા સાથે રહેવું ન હોવાથી અભયમે તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો અપાવ્યો હતો. માતા-પિતાએ દીકરીની મરજી વિરુદ્ધ લગ્ન નક્કી કરી તેનું ભણતર પણ છોડાવી દીધું હતું અને ઘરમાં પૂરી દીધી હતી. દરમિયાન તક જોઈને યુવતી ઘરેથી નીકળી ગઈ હતી અને બાદમાં કંઈ સમજણ ન પડતાં તેણે અભયમને જાણ કરી હતી. અભયમની ટીમ દ્વારા યુવતીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તે બાદ પણ યુવતી ઘરે જવા માટે તૈયાર નહોતી. જેને કારણે યુવતીને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો હતો. અભયમની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે, મારો 4 વર્ષથી એક યુવક સાથે પ્રેમ સંબંધ છે અને મારે તે યુવક સાથે જ લગ્ન કરવા છે. મારા બોયફ્રેન્ડનો પાપડી બનાવવાનો ગૃહ ઉદ્યોગ છે. 1 વર્ષથી મારાં માતા-પિતાને મારા પ્રેમ સંબંધ વિશે જાણ થઈ ગઈ છે. જે બાદ તેઓએ મારું ભણવાનું પણ છોડાવી દીધું છે અને મને ઘરમાં પૂરી રાખે છે. તેણે વધુમાં જણાવ્યું કે, 1 વર્ષથી મારાં માતા-પિતા મારા લગ્ન કરાવવા અલગ-અલગ છોકરા બતાવે છે. એક અઠવાડિયા પહેલાં માતા-પિતાએ મારો સંબંધ 10 વર્ષ મોટા યુવક સાથે નક્કી કરી દીધો છે. તેઓ મારી સાથે જબરજસ્તી કરે છે કે, મારે મારા બોયફ્રેન્ડના ઘરે જવાનું છે અને બોયફ્રેન્ડને ના પાડી દેવાની છે, જો આમ નહીં કરું તો મારી સાથે મારપીટ કરશે. જેથી હું ઘરેથી નીકળી ગઈ છું. અભયમે યુવતીનું કાઉન્સેલિંગ કર્યું હતુું. જોકે યુવતીને પોતાના ઘરે જવું ન હોવાને કારણે ટીમે તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો હતો. માતા-પિતા દીકરી સાથે મારપીટ કરતાં હતાંયુવતીનાં માતા-પિતાએ તેનું ભણવાનું છોડાવી દીધું હતું અને તેને ઘરમાં પૂરી રાખતાં હતાં. આ સાથે તેની સાથે મારપીટ કરતા હોવાને કારણે યુવતીને તેનાં માતા-પિતા સાથે રહેવું નહોતું. યુવતી કોઈનો સંપર્ક ન કરી શકે તે માટે તેઓએ તેની પાસેથી મોબાઈલ ફોન પણ લઈ લીધો હતો.
બાળકોને મળ્યું શાળાનું નવું ભવન:તાજપુરકુઈ પ્રા.શાળામાં રૂ. 22 લાખના ખર્ચે નવું ભવન તૈયાર
પ્રાંતિજના તાજપુરકુઈની પ્રાથમિક શાળામાં છેલ્લા લાંબા સમયથી જર્જરિત ઓરડાના કારણે બાળકોના શિક્ષણ પર જોખમ તોળાઈ રહ્યું હતું, તે બાળકો માટે હવે 22 લાખના ખર્ચે અત્યાધુનિક સુવિધા ધરાવતું નવું શાળા ભવન તૈયાર થયું છે. વાલીઓની જાગૃતતા અને એસ.એમ.સી. (SMC) સભ્યોની સતત રજૂઆતો બાદ તંત્ર જાગ્યું છે, જેના કારણે હવે ભૂલકાંઓને ભયમુક્ત વાતાવરણમાં અભ્યાસની નવી દિશા મળી છે. જર્જરિત ઓરડાને કારણે નાના ભૂલકાંઓ વાલીઓના ઘરે બેસીને અભ્યાસ કરવા મજબૂર હતા.
પ્રજાજન પરેશાન:પ્રાંતિજની મજરા ચોકડી પાસે ગટરના અધૂરા કામથી લોકોને ભારે હાલાકી
પ્રાંતિજ તાલુકાના મજરા ચોકડી પાસે અધૂરા ગટરના કામથી વેપારીઓ અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. સર્વિસ રોડ પર ઠેર-ઠેર ભયાનક ખાડાઓ પડી ગયા છે. રાત્રિના સમયે વાહનચાલકો માટે આ રોડ પરથી પસાર થવું જોખમી બન્યું છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો અવારનવાર સ્લિપ ખાઈ રહ્યા છે. ખરાબ હાલત અને ઉડતી ધૂળને કારણે આસપાસના વેપારી વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રાહકો દુકાનો સુધી પહોંચી શકતા નથી. જેનાથી ધંધા પર માઠી અસર પડી રહી છે. સ્થાનિક રહીશો અને વેપારી મંડળની એક જ ઉગ્ર માંગ છે કે તંત્ર દ્વારા સત્વરે આ ગટર લાઇનનું યોગ્ય રિપેરિંગ કરવામાં આવે અને સર્વિસ રોડને ફરીથી વાહન વ્યવહાર લાયક બનાવવામાં આવે.
નકલી ઘી ઝડપાયું:રાયગઢમાંથી 50 હજારનું નકલી ઘી પકડાયું
હિંમતનગરના રાયગઢમાં ભઠ્ઠા પર નકલી ઘી બની રહ્યાની બાતમી આધારે ફૂડ વિભાગે અંદાજે 50હજારથી વધુની કિંમતનો શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો સીઝ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર બાબુભાઇ.એમ. ગણાવા દ્વારા મળતી વિગતો અનુસાર રાયગઢમાં પટેલ ફળીમાં રહેતા ખુબીરામ શિવચરણલાલ શર્મા (ફૂડ બિઝનેસ ઓપરેટર)ના રહેણાંક મકાન પર ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા માહિતીને આધારે રેડ કરી તપાસ હાથ ધરાઇ હતી. આ તપાસ દરમિયાન મકાનમાંથી શંકાસ્પદ ઘી અને બનાવટી ઘી બનાવવામાં વપરાતા એડલ્ટ્રન્ટ (ભેળસેળ માટેના પદાર્થો) સોયાબીન તેલ, વનસ્પતિ તેલ તથા વ્હાઈટ પાવડરનો જથ્થો મળતાં શંકાસ્પદ ઘી ના સેમ્પલ લઈ 15 કિલોના પેકિંગમાં આવતાં સોયાબીન તેલના ડબ્બા કુલ 39 કિલો કિં. 15,600, 88 કિલો વનસ્પતિ ઘી કિં.16,808, 23 કિલો વ્હાઈટ પાવડર કિં. 6900 અને બનાવટી લૂઝ ઘી 58 કિલો કિં. 10,788નો જથ્થો જપ્ત કર્યો હતો. ફૂડ વિભાગના અધિકારીના જણાવ્યાનુસાર લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જો નમૂના સબ-સ્ટાન્ડર્ડ કે અનસેફ જાહેર થશે તો સંબંધિત ફૂડ બિઝનેસ ઓપરેટર સામે કાયદેસરની કોર્ટ કાર્યવાહી અને દંડની પ્રક્રિયા હાથ ધરાશે.
મુસાફરોની સુવિધામાં વધારો:હિંમતનગર ST ડેપોથી ઈન્દોર અને જોધપુર માટે નવી બસો શરૂ કરાઇ
હિંમતનગર એસટી ડેપો દ્વારા આંતરરાજ્ય મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા ઈન્દોર અને જોધપુર રૂટ પર નવી અત્યાધુનિક બસો સેવામાં મૂકી છે. ચૈત્ર નવરાત્રિના પવિત્ર પ્રથમ દિવસે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ આ નવી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.રાજ્ય સરકાર દ્વારા એસ ટી વિભાગીય કચેરીને કુલ 11 નવી બસો ફાળવાઇ હતી. જે પૈકી હિંમતનગર ડેપોને 4 નવી બસો પ્રાપ્ત થઈ છે. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ઈન્ચાર્જ ડેપો મેનેજર એન. કે. પટેલ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવી બસોની સુવિધાથી હિંમતનગર અને આસપાસના વિસ્તારોના લોકોને અન્ય રાજ્યોમાં જવા માટે ખાનગી લક્ઝરી બસો પર નિર્ભર રહેવું નહીં પડે. જોધપુર અને ઈન્દોરનું ભાડું 450
હવામાન વિભાગની આગાહી:આજે સાબરકાંઠા- અરવલ્લીમાં હળવો વરસાદ પડવાની શક્યતા
ઉત્તર ગુજરાતમાં ગુરૂવાર સવારે સાડા 4 કલાકની આસપાસ અચાનક પ્રતિ કલાકે 18 થી 22 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું શરૂ થયું. પવન સાથે ધૂળ ભળતાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઇ હતી. ભર ઊંઘમાં લોકો હતા અને અચાનક બારી-બારણાં અને ઘરની અંદરની ચીજવસ્તુઓ ખખડવાના અવાજે ભયનો માહોલ સર્જ્યો હતો. બહુચરાજી નજીક હાંસલપુર ગામે કાચા મકાન પર પતરાં અને ઇંગલો પડતાં 65 વર્ષિય લીલાબેન ઠાકોરનું મોત થયું હતું, તેમના પતિ રામજીજી ઠાકોર ગંભીર રીતે ઇજા થઇ હતી. દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર પછી ફરી 15 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાયો હતો. સાંજે 6 વાગ્યા સુધીમાં 10 તાલુકામાં નોંધણી લાયક વરસાદ વરસ્યો હતો. જ્યારે અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં વરસ્યા હતા. વાવાઝોડા સાથે થયેલા વરસાદના કારણે કાપણી આરે આવેલા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.
ખીમાણા-દિયોદર રોડ પર ખોડા પાસે અકસ્માત સર્જાયો:સામ-સામે બે કાર અથડાતાં યુવતીનું મોત, 3ને ઇજાઓ
કાંકરેજ તાલુકાના ખોડા ગામ પાસે ખીમાણા-દિયોદર હાઈવે પર બુધવારે સવારે બે કાર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં એક યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દિયોદરના રૈયા ગામના નાનજીભાઈ વિરભણભાઈ પટેલની કાર નં.જીજે--08-આર-8423માં બેસી વસંતબેન માનસુંગભાઈ મકવાણા(રહે.ખોડા તા.કાંકરેજ), પવિબેન ઠાકોર(રહે.વડા તા.ઓગડ) અને રણછોડભાઈ પટેલ (રહે.રૈયા) પાટણ તરફ જઈ રહ્યા હતા.તે દરમિયાન સામેથી આવતી કાર આરજે 22-યુએ-7825 સાથે ટક્કર થઈ હતી. અકસ્માત બાદ તાત્ક લિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને ખીમાણા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. વસંતબેનની હાલત ગંભીર હોવાથી તેમને પાલનપુર રિફર કરવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું મોત નિપજ્યું હતું. બલાભાઈ મકવાણાની ફરીયાદના આધારે શિહોરી પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો:પાલનપુર હનુમાન ટેકરી પર ટ્રક ચાલકે ચાર વાહનો અડફેટે લીધા
સતત વાહનોથી ધમધમતા હનુમાન ટેકરી ચાર રસ્તા પર ગુરુવારે સવારે ટ્રક ચાલકે મુખ્ય હાઇવે થી ટ્રકને અચાનક જ સર્વિસ રોડ તરફ વાળી દીધી હતી જેના લીધે સર્વિસ રોડ પર પાર્ક કરેલી થાર ગાડી, ક્રેટા, રિક્ષા અને ઓલા ટુ વ્હીલરને અડફેટે લઈ નુકસાન પહોંચાડ્યું હતું. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. પ્રત્યક્ષ દર્શીઓએ જણાવ્યું કે સવારે 9:00 વાગ્યાના અરસામાં ટ્રકચાલકે હનુમાન ટેકરીના બમ્પ કૂદાવ્યા બાદ અચાનક બ્રેક ફેલ થઈ ગયો હોય તે રીતે ટ્રક ઉભી રાખવા માટે સર્વિસ રોડ તરફ વાળી દીધી હતી અને સર્વિસ રોડ પર પાર્ક કરેલા થાર, ક્રેટા, રીક્ષા અને ઈ બાઇક સહિત જુદા જુદા વાહનોને ટક્કર મારી દીધી હતી. સદનસીબે વાહનોમાં કોઈ બેસેલું ન્હોતું એટલે કોઈને ઈજા થઈ નહોતી. ઘટના બાદ તુરંત લોકો એકઠા થઈ ગયા હતા ટ્રક ચાલકને નીચે ઉતારીને પોલીસ બોલાવીને તેને સોંપી દીધો હતો. ટ્રકની ડ્રાઇવર સાઈડના આગળના ભાગે પણ થોડુંક નુકસાન થયું હતું.
ખાતમુહૂર્ત:ભીલડીમાં રૂ.25.40 કરોડના રોડ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
ડીસા તાલુકાના ભીલડી વિસ્તારમાં રૂ.25.40 કરોડના વિવિધ રોડ કાર્યોનું દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જગદીશશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નવી ભીલડી રેલવે સ્ટેશન રોડ સહિત અનેક મહત્વપૂર્ણ માર્ગોના કામોની સત્તાવાર રીતે શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ હેઠળ રામસણ-ભાદરા-નાંદલા રોડ, જૂની ભીલડીથી દશામાં મંદિર રોડ, નવી ભીલડી-જુના નેસડા-મોટી ઘરનાલ ચાર રસ્તા જોડતો માર્ગ, મોટી ઘરનાળ-ગોઢા રોડ, ભીલડી અપ્રોચ રોડ તેમજ બલોધર-મોટા કાપરા જોડતો રોડ જેવા માર્ગોના રીસરફેસિંગ અને વિકાસ કાર્યો હાથ ધરાશે. કાર્યક્રમમાં ભીલડી ભાજપ મંડળના મહામંત્રી સુરેશભાઈ સિલ્વા, પૂર્વ માર્કેટ યાર્ડ ચેરમેન બાબુભાઈ પાનકુટા, સરપંચો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ માર્ગોના વિકાસથી વિસ્તારના ગામો વચ્ચેનું જોડાણ મજબૂત બનશે તેમજ પરિવહન સુવિધા વધુ સુગમ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ માટે પાટણની મોટર અકસ્માત વળતર ટ્રિબ્યુનલે એક લાલબત્તી સમાન ચુકાદો આપ્યો છે. પોતાની જ બેદરકારીથી અકસ્માત નોતરી વળતર મેળવવાની આશા રાખતા રિક્ષાચાલકને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. જજ મહંમદ ઈરફાન એ. શેખે સ્પષ્ટ કર્યું કે જે વ્યક્તિ પોતે અકસ્માત માટે જવાબદાર હોય, તે સામા પક્ષ પાસેથી વળતર મેળવવા હકદાર નથી. પાટણના ઘીમટો વિસ્તારમાં રહેતા દિનેશભાઈ અમથાભાઈ દેસાઈ ગત 10 ફેબ્રુઆરી 2020ના રોજ પોતાની રિક્ષા લઈને રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની રિક્ષા સામેથી આવતી બાઈક સાથે અથડાતા તેમને કાંડાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત રિક્ષાચાલકે બાઈક સવાર અને વીમા કંપની સામે ₹રૂ.2 લાખના વળતરની માંગણી સાથે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જોકે, વીમા કંપનીની દલીલો અને પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પંચનામા અને ચાર્જશીટ મુજબ, રિક્ષાચાલક દિનેશભાઈ પોતે જ રોંગ સાઈડમાં અને પૂરઝડપે રિક્ષા ચલાવી રહ્યા હતા, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે રિક્ષાચાલક વિરુદ્ધ જ ગુનો નોંધ્યો હતો. કોર્ટે તમામ પુરાવાઓ ધ્યાને લઈ નોંધ્યું કે અકસ્માત માટે અરજદાર પોતે જ 100% જવાબદાર હોવાથી તેમને કોઈ વળતર મળી શકે નહીં. આ ચુકાદો વાહનચાલકોને શિસ્તબદ્ધ ડ્રાઈવિંગનો સંદેશ આપે છે. નિયમો તોડે ત્યારે અકસ્માત થાય તો ચાલક પોતે જવાબદારઅદાલતે નોંધ્યું હતું કે અકસ્માત માટે મોટરસાયકલ સવાર નહીં, પરંતુ રિક્ષાચાલક પોતે જવાબદાર હતો. જ્યારે કોઈ વ્યક્તિ ટ્રાફિકના નિયમો (જેમ કે રોંગ સાઈડ ડ્રાઈવિંગ) તોડે છે, ત્યારે તે અકસ્માત માટે પોતે જ જવાબદાર ઠરે છે.
5 તાલુકાઓમાં ભારે તારાજી સર્જાઈ:વાવાઝોડાથી ક્યાંક છાપરાં ઉડ્યા તો ક્યાંક વીજ પોલ ધરાશાયી
જિલ્લામાં ગત રાત્રે ફૂંકાયેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી વરસાદે 5 તાલુકાઓમાં ભારે તારાજી સર્જી છે. સાંતલપુરના રણમાં અગરિયાઓના રહેણાંક છાપરાં અને સોલાર પેનલોને વ્યાપક નુકસાન થયું છે, તો હારિજ-રાધનપુર હાઈવે પર હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે. જગતના તાતની મહેનત પર પાણી ફરી વળ્યું છે. તંત્ર દ્વારા હાલ સમારકામની કામગીરી ચાલુ છે. હારિજમાં પાર્ક છોટા હાથી પર લાકડાનો શેડ પડ્યો હારિજ દૂધ શીત કેન્દ્રની સામે પાર્ક કરવામાં આવેલી છોટા હાથી ગાડી પર વાવાઝોડાને કારણે બાજુમાં રહેલો લાકડાનો ભારે શેડ તૂટી પડ્યો હતો. બ્રાહ્મણવાડા-મંડલોપ રોડ પર વૃક્ષ પડતા વાહનવ્યવહાર ઠપ ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડાથી મંડલોપ ગામને જોડતાં માર્ગ પર બે વિશાળ વૃક્ષો રસ્તાની વચ્ચે ધરાશાયી થયા હતા. ચાણસ્મામાં વીજ પોલ ધરાશાયી ચાણસ્મા પંથકમાં વાવાઝોડાને કારણે વીજ કંબોઈ, રાણાસણ અને કેસણી સહિતના વિસ્તારોમાં વીજ લાઈનના 5 વીજ પોલ ધરાશાયી થયા છે અને 17 લોકેશન પર વાયર તૂટી ગયા છે. લાલપુર અને જાખેલમાં પતરા ઊડ્યા સમી તાલુકાના લાલપુર અને જાખેલ ગામમાં મળી કુલ 8 જેટલા મકાનોના સિમેન્ટના પતરાં અને નળિયા ઉડી જતાં ગરીબ પરિવારો ઘરવિહોણા બન્યા છે. નાયતામાં 18 પતરા ઉડી ગયા સરસ્વતી તાલુકાના નાયતા ગામમાં ખેડૂત કેલજીજી ઠાકોરના ઘરના ઉપરના 18 જેટલા સિમેન્ટના પતરાં કાગળની જેમ ઉડી ગયા હતા. સરસ્વતી તાલુકાના વાગડોદ, કોઈટા અને અબલુવા પંથકમાં ખેતરમાં કાપણી કરીને તૈયાર રાખેલા ઘઉં, એરંડા અને તમાકુનો પાક વરસાદમાં પલળી જતાં મજૂરી ધૂળમાં મળી છે. ખેડૂતોએ રાત્રિના સમયે ખેતરોમાં દોડી જઈ માલ બચાવવા મથામણ કરી હતી, છતાં મોટાપાયે નુકસાન નોંધાયું છે.
વાલ્મિકી સમાજ દ્વારા ઐતિહાસિક પહેલ:પાટણમાં પ્રથમવાર વાલ્મિકી બંધુઓ રામનવમીના રથનું પ્રસ્થાન કરાવશે
પાટણ શહેરમાં આપણું મન અયોધ્યા આપણું શહેર અયોધ્યાના સંકલ્પ સાથે રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રા સમાજિક સમરસ્તાના સંકલ્પ સાથે નીકળશે. પ્રથમવાર વાલ્મિકીબંધુઓ દ્વારા રથનું પ્રસ્થાન કરાવવા આવશે જે અંતર્ગત શહેરના જાહેર માર્ગો ઉપર ભગવી ધજાઓ અને હોર્ડિંગસ લગાવવાની કામગીરી શરૂ થઈ છે. રામનવમીની તૈયારની ભાગરૂપે પાટણ શહેરના મુખ્ય માર્ગો સજ્જ થયા છે. કેસરી ધ્વજાથી પાટણ રામમય બન્યું છે.વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રામનવમી નિમિત્તે 39મી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણું મન અયોધ્યા આપણું શહેર અયોધ્યાના સંકલ્પ સાથે નીકળનારી આ રથયાત્રા બપોરે છિડિયા દરવાજા સ્થિત શ્રી ગામ રામજી મંદિરથી વાલ્મિકી બંધુઓના હસ્તે સામાજિક સમરસતાના ભાગરૂપે રથનું દિવ્ય પ્રસ્થાન કરાશે. પાટણ શહેરમાં 26મી માર્ચ ગુરુવારના રોજ નિકળનારી ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રામાં પ્રથમવાર બાહુબલી હનુમાનજીના દર્શનનો લ્હાવો મળશે. જેની ઊંચાઈ 10 ફૂટ હશે.વિશેષ આકર્ષણ તરીકે પ્રભુ શ્રીરામલલ્લાની ચાંદીની ચરણપાદુકા ખાસ અયોધ્યા મોકલવામાં આવશે. જ્યાં નિજ મંદિરના કમલચરણોમાં સેવા-પૂજા થયા બાદ તેને પરત લાવી પાટણની જનતા માટે દર્શનાર્થે મૂકવામાં આવશે.આ ભવ્ય આયોજનમાં શૌર્ય અને સંસ્કૃતિનો સંગમ જોવા મળશે.જેમાં દુર્ગાવાહિનીની 500 દીકરીઓ તલવારબાજીના કરતબ બતાવશે અને બજરંગદળના યુવાનો અખાડાના દાવપેચ રજૂ કરશે. શોભાયાત્રામાં ગુજરાતનું સુપ્રસિદ્ધ રાજકમલ બેન્ડ અને પંજાબી બેન્ડ રામભજનોની રમઝટ બોલાવશે,જ્યારે વિવિધ ધાર્મિક સંસ્થાઓના સુંદર ટેબ્લો નગરચર્યાએ નીકળશે. શહેરના ઝીણી રેત વિસ્તારમાં વાલ્મિકી સમાજ દ્વારા પાણીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ વિસ્તારમાં આવેલ રામજી મંદિરમાં રથયાત્રાની મહાઆરતી કરાશે.અને પ્રસાદનું અયોજન કરાયું છે. વિશ્વ હિંદુ પરિષદ જીતેન્દ્ર ઠાકોરે જણાવ્યું હતું કે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા નગરજનોને પોતાના મહોલ્લાઓને કેશરી ધજા-પતાકાથી શણગારે અને શોભાયાત્રાનું પુષ્પવર્ષાથી સ્વાગત કરે અને દરેક રામભક્ત સાંજે પોતાના ઘરે પાંચ દીવા પ્રગટાવી દિવાળી જેવો માહોલ બનાવે અને રાત્રે 9 કલાકે રામજી મંદિર પરિસર ખાતે આયોજિત રામખીચડીનો પ્રસાદ લેવા પધારે જણાવ્યું છે.
ભાસ્કર બ્રેકિંગ:25 માર્ચે પાટણનું આઇકોનિક બસ સ્ટેશન શરૂ થશે, હર્ષ સંઘવી ઉદ્ઘાટન કરશે
આગામી 25 માર્ચ હર્ષ સંઘવીના હસ્તે પાટણ નવીન બસ સ્ટેશનનું ઉદ્ઘાટન થશે. વર્ષ 2017માં જેનું ખાતમુહૂર્ત થયું હતું અને કોરોનાને કારણે જે પ્રોજેક્ટ વિલંબમાં બાદ અંતે 8 વર્ષ પછી પાટણનું નવું આઇકોનિક બસ પોર્ટ હવે તૈયાર થઈ ગયું હોય લોકો માટે ખુલ્લી મૂકાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પણ હાજર રહે તેવી શક્યતા છે.તેવું એસટી વિભાગના રાણકીવાવ સેન્ટ્રલ ઓફિસના અધિકારી રિતેશ સોલંકીએ જણાવ્યું હતું. નવીન બસ સ્ટેશન શરૂ થાય તે પૂર્વે ડેપો વિભાગ તેમજ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સંચાલન અને રૂટ પર ટ્રાફિક નિયમન અંગે ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરી છે. આ અંગે પાટણ ડેપો મેનેજર વિપુલ રાવળે જણાવ્યું હતું કે નવું બસ સ્ટેશનનું લોકાર્પણ થશે એટલે તરત જ 100 ટકા સંચાલન બસ સ્ટેશનમાંથી જ કરાશે. અમે જરૂરી સમય અંતરે બસ લઈને રૂટ ચેક કરી લીધા છે.જેમાં પ્રાથમિક ધોરણે અવરજવરમાં રૂટ પર બસ ફેરવી અડચણરૂપ દબાણ દૂર કરી બસ સ્ટેશન વળાંકમાં રસ્તો ખુલ્લો કર્યો હોય બસને વળાંક કે યુ ટર્નમાં મુશ્કેલી સર્જાશે નહીં. સંચાલન શરૂ થયા બાદ કોઈ મુશ્કેલી સર્જાશે તો સંલગ્ન વિભાગો સાથે મળીને નિરાકરણ કરાશે. ગંદકી ન થાય માટે સ્પેશિયલ સ્ટાફનવા બસ સ્ટેશનમાં શિસ્ત જાળવવા માટે વહીવટી તંત્ર કડક બન્યું છે. જુના બસ સ્ટેશનમાં કે હાલમાં કાર્યરત વૈકલ્પિક બસ સ્ટેશનમાં સ્વચ્છતા અને ગંદકી બાબતે કોઈ ખાસ પગલાં લેવાતા નથી. પરતું નવા સંકુલમાં સ્પેશિયલ સિક્યુરિટી ગાર્ડ ગોઠવ્યા છે.જે ધૂમ્રપાન કરવા કે પાન-મસાલા ખાઈને ગંદકી કરનાર સામે સ્થળ પર જ રૂ.200 વધુ દંડનીય કાર્યવાહી કરશે. ટ્રાફિક ના સર્જાય માટે વધુ TRP પોઇન્ટ ઉભા કરાશેપાટણ શહેર ટ્રાફિક પીએસઆઇ રણજીત સોલંકી એ જણાવ્યું હતું કેએસટી ડેપોના કાર્યરત અને લઈ જાહેરનામું જે આવશે એનીઅમલવારી કરાશે અને શહેરના ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે વધુડીઆરબીની માંગણી કરાશે. ખાસ કરીને રેલવે સ્ટેશન સ્વામીવિવેકાનંદની પ્રતિમા નજીક બે ટીઆરપી હતા એની જગ્યાએ ત્રણટીઆરપી કરી યોગ્ય ટ્રાફિક મેનેજમેન્ટ કરાશે. બાકીનું રૂપ ઉપર બસકાર્યરત થશે એટલે ઓટોમેટીક ટ્રાફિક કંટ્રોલમાં આવી જશે.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ભારતમાં કાચા તેલની કિંમતમાં બમણો વધારો થવા અંગે રહ્યા. બીજા મોટા સમાચાર શેર માર્કેટમાં 22 મહિનાનો સૌથી મોટો ઘટાડો થવા અંગેના રહ્યા. બીજી તરફ, ઈરાને ખાડી દેશોના તેલ મથકો પર હુમલો કર્યો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મથુરા-વૃંદાવન જશે. આ દરમિયાન તેઓ સંત પ્રેમાનંદજી મહારાજ સાથે મુલાકાત કરશે. કાલના મોટા સમાચારો 1. યુદ્ધના કારણે ક્રૂડ બમણું, 146 ડોલર પહોંચ્યું:પેટ્રોલ-ડીઝલ મોંઘું થઈ શકે છે; ઈરાની હુમલાથી કતાર ગેસ પ્લાન્ટ બંધ, યુરોપમાં કિંમત 30% વધી ઇરાન દ્વારા ગલ્ફ દેશોમાં એનર્જી ઠેકાણાઓ પર ફરી હુમલાઓ બાદ આજે 19 માર્ચે ગ્લોબલ લેવલે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના ભાવમાં 30% સુધીનો વધારો થયો છે. યુદ્ધ શરૂ થયા પછી ભારતમાં ક્રૂડ ઓઇલના ભાવ લગભગ બમણા થઈને 146 ડોલર થઈ ગયા છે. આ વધારાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10-15 રૂપિયાનો વધારો થઈ શકે છે. ભારત ઇરાક, સાઉદી અરેબિયા, રશિયા અને યુએઈ પાસેથી ઓઈલ ખરીદે છે. આ વિવિધ પ્રકારના ઓઈલના સરેરાશ ભાવને ઈન્ડિયન બાસ્કેટ કહેવામાં આવે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. રોકાણકારો રાતા પાણીએ રડ્યા, 12 લાખ કરોડ ધોવાયા:શેરબજારમાં 22 મહિનામાં સૌથી મોટો કડાકો; સેન્સેક્સ 2,497 પોઈન્ટ, નિફ્ટી 776 પોઈન્ટ તૂટ્યો આજે 19 માર્ચના રોજ શેરબજારમાં 22 મહિનામાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 74,207 પર બંધ થયો, જેમાં 2,497 પોઈન્ટ (3.26%)નો ઘટાડો થયો. તેવી જ રીતે, નિફ્ટીમાં પણ 776 પોઈન્ટ (3.26%)નો ઘટાડો નોંધાયો, જે 23,002 પોઈન્ટથી નીચે આવી ગયો. જેના કારણે એક જ દિવસમાં રોકાણકારોના અંદાજે 12 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. આ પહેલા, 4 જૂન, 2024ના રોજ સેન્સેક્સ 5.74% ઘટ્યો હતો. આજે બેંકિંગ અને ઓટો શેરોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. ભૂરાજકીય તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં ફુગાવો વધવાનું જોખમ રહેલું છે. આનાથી કોર્પોરેટ નફામાં ઘટાડો થઈ શકે છે. પરિણામે, રોકાણકારો તેમના શેર વેચવાનું શરૂ કરે છે અને તેમની મૂડીને સુરક્ષિત રોકાણના સ્થળોએ ફરીથી ફાળવવાનું શરૂ કરે છે, જેના પરિણામે બજારમાં ઘટાડો થાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઈરાનના ઓઇલ પરથી અમેરિકા પ્રતિબંધ હટાવી શકે છે:ઓમાને કહ્યું- ઈરાન સાથે યુદ્ધ ટ્રમ્પની સૌથી મોટી ભૂલ, અમેરિકાની વિદેશ નીતિ પાટા પરથી ઉતરી ગઈ યુદ્ધ વચ્ચે અમેરિકા ઈરાની તેલ પરનો પ્રતિબંધ હળવો કરી શકે છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ઈરાનમાંથી પહેલાથી જ ઈરાનનું જે ઓઈલ બહાર જઈ રહ્યું છે તેના પરના પ્રતિબંધોને અસ્થાયી રૂપે હટાવી શકે છે. ઈરાન પર અમેરિકાના પ્રતિબંધો હોવા છતાં ઈરાન ગુપ્ત રીતે અથવા ખાસ માધ્યમથી કેટલાક દેશોને તેલ વેચવાનું ચાલુ રાખે છે. હવે, અમેરિકા બજારમાં પહેલાથી જ પ્રવેશતા ઓઈલ પરના પ્રતિબંધોને અસ્થાયી રૂપે હળવા કરવાનું વિચારી રહ્યું છે, જેનાથી પુરવઠો મુક્તપણે વધી શકે છે અને કિંમતો ઘટી શકે છે. દરમિયાન ઓમાને યુદ્ધ અંગે અમેરિકા પર આકરા પ્રહારો કર્યા છે. ઓમાનના વિદેશ પ્રધાન બદ્ર અલ-બુસૈદીએ ઈરાન સાથેના યુદ્ધને ટ્રમ્પ વહીવટીતંત્રની સૌથી મોટી ભૂલ ગણાવી છે. તેમણે કહ્યું કે આ યુદ્ધ વૈશ્વિક અર્થતંત્ર અને પ્રાદેશિક સુરક્ષાને નુકસાન પહોંચાડી રહ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. આસામ ચૂંટણી: ભાજપે 88 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી:CM હિમંતા સાતમી વખત જાલુકબારીથી ચૂંટણી લડશે; ગઈકાલે કોંગ્રેસમાંથી BJPમાં જોડાયેલા સાંસદ બોરદોલોઈને પણ ટિકિટ ભાજપે ગુરુવારે આસામ વિધાનસભા ચૂંટણી માટે પોતાની પહેલી યાદી જાહેર કરી. તેમાં CM હિમંતા બિસ્વ સરમા સહિત 88 નામોનો સમાવેશ થાય છે. ગઈકાલે ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના સાંસદ પ્રદ્યુત બોરદોલોઈને પણ દિસપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. હિમંતા તેમની પરંપરાગત બેઠક જાલકુબારીથી ચૂંટણી લડશે. હિમંતા સાતમી વખત આ બેઠક પરથી ચૂંટણી લડશે. આ દરમિયાન, 25 દિવસ પહેલા ભાજપમાં જોડાયેલા ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ ભૂપેન બોરાને પણ ટિકિટ આપવામાં આવી છે. ભાજપે ગુરુવારે કેરળ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. તેમાં 39 ઉમેદવારોના નામનો સમાવેશ થાય છે. પાર્ટીએ અત્યાર સુધીમાં જાહેર કરાયેલી બે યાદીમાં 86 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. સરકારે કહ્યું- ઓનલાઈન સિલિન્ડર બુકિંગ વધીને 94% સુધી પહોંચ્યું:પૅનિક બુકિંગમાં ઘટાડો; અમેરિકાથી LPGનો સપ્લાય થઈ રહ્યો છે, કિંમતોમાં વધારો નહીં કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોએ ગુરુવારે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી. જેમાં પશ્ચિમ એશિયામાં તણાવને કારણે ઓઇલ અને ગેસ સંકટ પર વર્તમાન પરિસ્થિતિની માહિતી આપવામાં આવી. વિદેશ મંત્રાલય (MEA)માં સંયુક્ત સચિવ (ગલ્ફ) અસીમ મહાજને જણાવ્યું કે આ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વૈશ્વિક સમુદાય માટે પરીક્ષાનો સમય છે. પેટ્રોલિયમ મંત્રાલયમાં સંયુક્ત સચિવ (માર્કેટિંગ અને ઓઇલ રિફાઇનરી) સુજાતા શર્માએ જણાવ્યું કે યુદ્ધને કારણે LPGની સ્થિતિ ચિંતાનો વિષય બની રહી છે. જોકે, દેશમાં કોઈપણ LPG ડિસ્ટ્રીબ્યુટર પાસે સિલિન્ડરની અછત નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. જામનગરમાં 66KVનો વીજપોલ ધરાશાયી : રાજકોટમાં ભર ઉનાળે 1.5 ઇંચ વરસાદ, સુરતમાં હાઈ-વે પર વિઝિબિલિટી ઝીરો, વાહનો થંભી ગયા રાજ્યના હવામાન વિભાગ દ્વારા બે દિવસ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે આજે 19 માર્ચના રોજ વહેલી સવારથી જ અમદાવાદ સહિતના શહેરમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. આશરે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે. ખૂબ જ જોરદાર પવન ફૂંકાવાના કારણે ધૂળ ઉડતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક જગ્યાએ ઝાડ તૂટી પડવાની પણ ઘટના સામે આવી છે. બપોર બાદ રાજકોટ, જામનગર, ખંભાળિયા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટમાં કરાનો વરસાદ પડ્યો છે. તો જામનગરમાં પણ તોફાન જોવા મળી રહ્યું છે. રાજ્યના છુટાછવાયા સ્થળોએ વરસાદ અને તોફાની પવનથી દિવેલા, ઈસબગુલ, વરિયાળી, જીરૂ, કેરી સહિતનાા પાકોને ભારે નુકસાન પહોંચતાં ખેડૂતોને આર્થિક ફટકો લાગ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. સત્યમ યોગ ફાઉન્ડેશનની ફોર્ચ્યુનરમાંથી નકલી નોટો મળી, પ્રદીપ ગુરુજીની ધરપકડ:ચીનથી મટિરિયલ મગાવી ક્રિપ્ટોમાં પેમેન્ટ, પ્રિન્ટરમાં ચેટ GPTથી સેટિંગ કરતા, સુરતમાં 2 કરોડ છાપ્યા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 7 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો 500 રૂપિયાના દરની છે. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. હાલ પોલીસે તમામની ધરપકડ કરી આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમા નકલી નોટોની હેરાફેરી થતી હતી. નોટોની સપ્લાય માટે કાર પર ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા અને આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ થતો હતો. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી કરી હતી. જેમાં અમદાવાદમાંથી 2.10 કરોડની અને સુરતમાં 80 લાખની નકલી નોટો કબ્જે કરી છે. આ મામલે સત્ય યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની પણ ધરપકડ કરાઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : યુપી, દિલ્હી અને હરિયાણામાં ભારે વાવાઝોડું-વરસાદ:દિલ્હી એરપોર્ટ પર 22 ફ્લાઇટ્સ ડાયવર્ટ; રાજસ્થાનમાં કરા પડવાની ચેતવણી, હિમાચલમાં હિમવર્ષા વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : અમેરિકાના વિદેશ-રક્ષા મંત્રીના ઘર ઉપર શંકાસ્પદ ડ્રોન દેખાયા:સુરક્ષા મામલે ઇમરજન્સી મીટિંગ બોલાવવામાં આવી; બંને નેતાઓને શિફ્ટ કરવા પર વિચારણા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ઓડિશા હોસ્પિટલ અગ્નિકાંડમાં 4 અધિકારીઓ સસ્પેન્ડ:વિપક્ષે દેખાડો ગણાવ્યો, અકસ્માતમાં મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 12 થઈ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : નબળું પડી ગયેલું ઈરાન યુદ્ધને લાંબું શા માટે ખેંચી રહ્યું:શરણાગતિનો ઇનકાર, યુદ્ધને મોંઘું બનાવીને દુશ્મનને ઝુકાવવાના પ્રયાસ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : યુદ્ધના કારણે ક્રૂડ બમણું, 146 ડોલર પહોંચ્યું:પેટ્રોલ-ડીઝલ મોંઘું થઈ શકે છે; ઈરાની હુમલાથી કતાર ગેસ પ્લાન્ટ બંધ, યુરોપમાં કિંમત 30% વધી વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : અગરકરે 2027 વર્લ્ડકપ સુધી કરાર વધારવાની માગ કરી:BCCIને વિનંતી કરી, 2023માં પદ સંભાળ્યું હતું; પહેલા પણ એક્સટેન્શન મળી ચૂક્યું છે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 500 વર્ષ પછી ચૈત્ર નવરાત્રિ પર 'ચતુર્ગ્રહી યોગ'નો મહાસંયોગ!:મેષ-મિથુન રાશિના જાતકોને મળશે અણધાર્યા લાભની તક વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ નીતિશ કુમારના કાર્યક્રમમાં બટાકા અને ડુંગળી લૂંટાઈ ગયા મુંગેરમાં નીતિશ કુમારની સમૃદ્ધિ યાત્રા પૂરી થતાં જ તેમના સ્વાગત માટે રાખવામાં આવેલા શાકભાજી લૂંટાઈ ગયા. લોકો બટાકા, ડુંગળી, લીંબુ અને રીંગણા લેવા તૂટી પડ્યા અને થોડીવારમાં જ બધી સજાવટ ગાયબ થઈ ગઈ. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ : આસારામ આશ્રમમાં બાળકોને ઘેનની દવા અપાતી હતી?: આશ્રમના લોકો કયું ગંદું સિક્રેટ છુપાવી રહ્યા હતા? જુઓ ‘આસારામ’ સિરીઝનો નવો શૉકિંગ એપિસોડ 2. બ્લેકબોર્ડ: મીઠામાં જન્મ્યા, મીઠામાં જ મરીશું:ઓછું ખાઉં છું જેથી દિવસમાં શૌચાલય ન જવું પડે- બાળકો ખેતરમાં જન્મ્યા, પીઠ પર ઉછરી રહ્યા છે 3. પારકી પંચાત : પોલીસે ગુનેગારોનો દમ કાઢી નાખ્યો!:મુંડન કર્યું, જાહેરમાં લંગડાતા ચાલ્યા; BJPના નવા લિસ્ટમાં ફરી રાજકોટની બાદબાકી! 4. બોલિવૂડ ક્રાઇમ ફાઇલ્સ: જિયા ખાન કેસ: પ્રેમ, દગો અને આત્મહત્યા!:મૃત્યુના અડધા કલાક પહેલા એક્ટ્રેસ બોયફ્રેન્ડના ઘરે ગઈ હતી; ડાયરીના 6 પાનાંએ બોલિવૂડને ચોંકાવ્યું 5. ભાસ્કર એક્સક્લૂસિવ: એશિયાના સૌથી મોટા નોઈડા એરપોર્ટનો ફર્સ્ટ લુક:ગંગા ઘાટ જેવો એન્ટ્રી ગેટ, હવેલી જેવું આર્કિટેક્ચર, ચહેરો સ્કેન થતા જ એન્ટ્રી 6. જોબ સાથે ચૈત્રી નોરતાંનું વ્રત અઘરું લાગે છે?:ચાલુ ઓફિસે ઊંઘ-નબળાઈ ન આવે એ માટે 9 દિવસનો ખાસ ડાયટ પ્લાન; સ્વાદને ચટકારો આપતા ફૂડથી રહો દૂર 7. 'તમારા સસરાએ બીજા લગ્ન કર્યા હોય તો શું ખબર પડે?':અમેરિકાના નાગરિક વડોદરામાં કડવા અનુભવથી ત્રાસી ગયા, BOBના મેનેજરના ઉદ્ધત જવાબ; સરકારી ઓફિસના ધક્કા કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: મકર રાશિ માટે ગ્રહોનું ગોચર અનુકૂળ, તુલા-ધન રાશિના જાતકોને મળશે સારા સમાચાર; કન્યા રાશિના લોકોના અટકેલા કામ પૂર્ણ થશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
ડોરેમોન કાર્ટૂનના દિગ્દર્શક શિબાયામા સુતોમૂનું 84 વરસની વયે નિધન
20 વરસ સુધી શૃતે એનિમેશનનો ડાયરેકટર રહ્યો હતો મુંબઇ - બાળકોની લોકપ્રિય એનિમેશન સીરીઝ ડોરેમોન કાર્ટૂનના દિગ્દર્શક શિબાયામા સુતોમૂનું ફેંફસાના કેન્સરના કારણે ૮૪ વરસની વયે નિધન થઇ ગયું છે. ૨૦ વરસ સુધી તે આ સીરીઝ સુધી જોડાયેલા હતા. તેમના નિધનના સમાચાર અજિયા-ડો એનિમેશ વર્કને ૧૭ માર્ચના ઘોષણા કરી હતી કે, તેમનું નિધન ૬ માર્ચના રોજ થઇ ગયું હતું.તેઓ જાપાનમાં ફાધર ઓફ નેશનલ એનિમેશન તરીકે જાણીતા હતા.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:વાવાઝોડાથી 10 તાલુકામાં પાકને નુકસાન,એક મોત
ઉત્તર ગુજરાતમાં ગુરૂવાર સવારે સાડા 4 કલાકની આસપાસ અચાનક પ્રતિ કલાકે 18 થી 22 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું શરૂ થયું. પવન સાથે ધૂળ ભળતાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઇ હતી. ભર ઊંઘમાં લોકો હતા અને અચાનક બારી-બારણાં અને ઘરની અંદરની ચીજવસ્તુઓ ખખડવાના અવાજે ભયનો માહોલ સર્જ્યો હતો. લગભગ દોઢથી બે કલાક સુધી આ સ્થિતિ રહ્યા બાદ સ્થિતિ સામાન્ય થઇ હતી. આ દરમિયાન બહુચરાજી નજીક હાંસલપુર ગામે કાચા મકાન પર પતરાં અને ઇંગલો પડતાં 65 વર્ષિય લીલાબેન ઠાકોરનું મોત થયું હતું, જ્યારે તેમના પતિ રામજીજી ઠાકોર ગંભીર રીતે ઇજા થઇ હતી. પાટણ જિલ્લામાં સંખારી, અબિયાણા, સમીના બે ગામોમાં અંદાજે 30 થી વધુ કાચા મકાનોના પતરાં કે છત તૂટીને ઉડી ગયા હતા. ભારે પવન ફૂંકાતાં ખેતરોમાં ઉભા એરંડા અને ઘઉંના પાકો પડી જવા સાથે કેટલાક ખેતરોમાં ઘઉંની લણણી કરીને ઢાંકીને મૂકી હોવા છતાં ઉડી જતા તેમજ ઘઉં ખરાબ થતા નુકસાન થયું હતું. તંત્ર દ્વારા ગ્રામ્ય સ્તરે વાવાઝોડાંની અસર અને નુકસાનીનો અંદાજ મેળવવા તલાટીઓ મારફતે રિપોર્ટ માંગતા સર્વેની કામગીરી શરૂ કરાઇ છે. દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર પછી ફરી 15 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાયો હતો. સાંજે 6 વાગ્યા સુધીમાં 10 તાલુકામાં નોંધણી લાયક વરસાદ વરસ્યો હતો. જ્યારે અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં વરસ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છુાટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. જ્યારે દિવસ-રાતના તાપમાનમાં વધુ 2-3 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. પતરા ઊડતાં જીવ બચાવવા ઘરના ખૂણામાં ભરાઈ રહેવું પડ્યુંસાંતલપુરના અબિયાણા ગામના ચૌહાણ કુબેરે ધ્રૂજતા અવાજે જણાવ્યું કે, વહેલી સવારે પવન એટલો તેજ હતો કે પવનથી ઊંઘ પતરાં કાગળની જેમ ઉડવા લાગ્યા. ઊંઘ ઉડતા જ અમે જીવ બચાવવા ઘરના એક ખૂણે ભેગા થઈ બેસી રહ્યા હતા. બાજુમાં પરિવારોના છાપરાં ઊડતાં જોઈ લાગતું હતું કે માથે આવે નહીં. હાલ ખુલી આભ થઈ જતા કાળઝાળ ગરમી અને આગામી વરસાદના ભય વચ્ચે ઘરમાં હોવા છતાં છત વગર સૌ નોંધારા બન્યા છીએ. લાલપુરમાં પતરાં ઊડતાં કાટમાળ માથે પડતા મહિલાને ઇજાલાલપુર ગામમાં સવારે વાવાઝોડા દરમિયાન 5 જેટલા ઘરોના પતરા ઉડ્યા હતા. જેમાં ઠાકોર વાસમાં ઠાકોર જકશીબેન રાયચંદભાઈના ઘરના પતરા ઉડતા ઉપર રહેલ ઇંટ અને નેવા જેવો કાટમાળ માથે પડતા પગ અને માથાના ભાગ સામાન્ય ઇજાઓ પહોંચતા ઇજાગ્રસ્ત થતા સારવાર લેવાની ફરજ પડી હતી. જિલ્લામાં વાવાઝોડાથી થયેલ નુકસાન વરસાદની સ્થિતિ (મીમીમાં)
હિંસક જૂથ અથડામણ સર્જાઈ:કુકરવાડામાં અદાવતમાં બે જૂથો બાખડ્યા, પાંચને ઇજા
વિજાપુર તાલુકાના કુકરવાડા ગામે જૂની અદાવતને પગલે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. ઘટનામાં SRP જવાન પર જીવલેણ હુમલો તેમજ સામા પક્ષ પર તલવાર- ધારિયા વડે હુમલાના આક્ષેપો સાથે બંને પક્ષે કુલ 5 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. વસઈ પોલીસ દ્વારા બંને પક્ષોની સામસામે ફરિયાદો લઇ કુલ 7 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પ્રથમ પક્ષની ફરિયાદ મુજબ, જયંતિજી ઠાકોર પોતાના ઘર નજીક હતા ત્યારે SRP જવાન જિજ્ઞેશકુમાર સાથે જૂની અદાવતને કારણે બોલાચાલી થઈ હતી. બાદમાં જિજ્ઞેશકુમાર તેમના પિતા અને ભાઈ સાથે લાકડાનો ધોકો, ધારિયું અને તલવાર લઈને પરત આવ્યા હતા અને જયંતિજી તેમજ તેમને છોડાવવા આવેલા પરિવારજનો પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. બીજી તરફ, SRP જવાન જિજ્ઞેશકુમારની ફરિયાદ મુજબ, જયંતિજીએ તેમને રોકી ગાળાગાળી શરૂ કરી હતી.
રોડ બન્યો હાડકાં તોડ:લાંઘણજ–ભાસરિયા માર્ગ બન્યો હાડકાં તોડ રોડ, છેલ્લા એક માસથી કામ અધૂરું
લાંઘણજથી ભાસરિયા હાઈવે સુધીનો માર્ગ હાલ વાહનચાલકો માટે હાડકાં તોડ મુસાફરી સમાન બની ગયો છે. માર્ગના નવીનીકરણ માટે આદેશ આપવામાં આવ્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા લગભગ એક મહિના પહેલાં કોઈ આગોતરા આયોજન વિના રોડની સપાટી ઉખાડી ખરબચડી કરી દેવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ કામ અધૂરું જ મુકાતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાલ રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થઈ ગયું છે અને સતત ઉડતી ધૂળને કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ખાસ કરીને ટૂ-વ્હીલર અને રિક્ષા ચાલકો માટે આ માર્ગ જોખમી બન્યો છે. ઊંડા ઘસરકાઓને કારણે સ્લિપ થવાના બનાવોમાં વધારો થયો છે, જ્યારે અનેક વાહનોના સ્પેરપાર્ટ્સ તૂટી રહ્યા છે. સતત ઝટકાઓના કારણે મુસાફરોને કમર અને મણકાની તકલીફો પણ થવા લાગી છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે હોળીના તહેવાર બાદ મજૂરોની અછતનું બહાનું આપી કામ અટકાવી દેવામાં આવ્યું છે, જેના કારણે માર્ગની સ્થિતિ વધુ ખરાબ બની છે. આ મામલે સામાજિક કાર્યકર તથા વકીલ કૌશિક પરમારે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. તેમણે બેજવાબદાર કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની અને રોડનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે.
મહેસાણા તાલુકાના લીંચ ગામે ધોળેદહાડે લૂંટની ઘટના બની છે. બસ સ્ટેન્ડ પાસે પાર્લર ચલાવતા વેપારી ફ્રીજમાંથી આઈસ્ક્રીમ કાઢવા નીચે નમતાં બે ગઠિયા તેમના ગળામાંથી રૂ.3.90 લાખની કિંમતની 6 તોલા સોનાની બે ચેઈન તોડી ભાગી ગયા હતા. આ મામલે લાંઘણજ પોલીસે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. લીંચ ગામે તોતર માતાના મંદિર પાસે રહેતા અને બસ સ્ટેન્ડ પાસે શિવ પાર્લર ચલાવતા ભરતજી રામસંગજી ઠાકોર મંગળવારે સાંજે દુકાને હાજર હતા. ત્યારે એક બાઈક પર બે શખ્સો આવ્યા હતા, જેમાં ચાલકે કાળા રંગનું ટી-શર્ટ અને હેલ્મેટ પહેર્યું હતું, જ્યારે પાછળ બેઠેલા શખ્સે સફેદ શર્ટ પહેર્યો હતો . આ શખ્સોએ વેપારી પાસે આઈસ્ક્રીમની માંગણી કરી હતી. વેપારી જેવો આઈસ્ક્રીમ આપવા માટે દુકાનની બહાર રહેલા ફ્રીઝને ખોલવા નીચે નમ્યા કે તુરંત તકનો લાભ લઈ સફેદ શર્ટ પહેરેલા શખ્સે વેપારીના ગળામાં પહેરેલી બે સોનાની ચેઈન ખેંચી લીધી હતી. વેપારી કંઇ સમજે તે પહેલાં લુટારુઓ ગણતરીની સેકન્ડોમાં જ બાઈક પર બેસીને નાસી છૂટ્યા હતા. વેપારીએ રૂ.3,90,500ની કિંમતની 6 તોલા સોનાની બે ચેઇનની લૂંટ મામલે લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
અનાજની ગુણવત્તા અંગે ઉઠ્યા સવાલ:મહેસાણા ઇન્દિરાનગર રાશનની દુકાનમાં ચોખામાં ધનેરાં નીકળ્યાં
એનએફએસએ રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનોમાં મળતા અનાજની ગુણવત્તા અંગે વારંવાર સવાલો ઊભા થતા હોવા છતાં સ્થિતિમાં સુધારો જોવા મળતો નથી. ગુરુવારે મહેસાણાના ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં ચોખાના બારદાનમાં ધાનેરા (જીવાત) જોવા મળી હતી. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ રેશનકાર્ડ ધારકોને પ્રતિ વ્યક્તિ દર મહિને 3 કિલો ચોખા અને 2 કિલો ઘઉં નિઃશુલ્ક આપવામાં આવે છે. જોકે, ઇન્દિરાનગરની આ દુકાનમાં ચોખાની બોરીઓમાં તેમજ દુકાનના આસપાસ જીવાત ફરતી નજરે પડી હતી. સવારે લાભાર્થીઓને આ જ ચોખાનું વિતરણ કરવામાં આવતું હતું. દુકાન સંચાલક મયુરભાઈ રાણાએ જણાવ્યું કે, સામાન્ય રીતે સારો જ જથ્થો આવે છે, પરંતુ આ વખતે થોડા જૂના ચોખા આવ્યા હોવાની શક્યતા છે. તેમણે ધનેરા માત્ર બારદાનના ઉપરના ભાગમાં હોવાનું કહ્યું હતું, પરંતુ વાસ્તવમાં ચોખાની અંદર પણ જીવાત મોટી માત્રામાં જોવા મળી હતી.
ફૂડવિભાગની કાર્યવાહી:ડીસા GIDCમાં 6.14 લાખનું 929 લિટર શંકાસ્પદ ઘી જપ્ત
ડીસા શહેરના GIDC વિસ્તારમાં ફૂડ વિભાગે મોડી રાત્રે કાર્યવાહી હાથ ધરીને એક ગોડાઉનમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘી જપ્ત કર્યું છે. કુલ 6.14 લાખ રૂપિયાનું 929 લીટર ઘી કબ્જે લેવામાં આવ્યું, જ્યારે એક્સપાયર થયેલું આશરે 1.40 લાખનું ઘી નાશ કરવામાં આવ્યું છે. ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન નિકુંજકુમાર વિનોદભાઈ બાંડીવાલા નામની પેઢીના ગોડાઉન પર શોપ નં. 5માં બી.એમ. દોશી કોમ્પ્લેક્સ પર દરોડો પાડીને કાર્યવાહી કરી હતી. ફૂડ વિભાગની તપાસ દરમિયાન ત્યાંથી કુલ 929 લીટર જેટલું શંકાસ્પદ ઘી મળી આવ્યું, જેની કિંમત આશરે 6,14,995 રૂપિયા ગણાય છે. આ શંકાસ્પદ ઘી અંગે ગુણવત્તા બાબતે શંકા ઊભી થતાં સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી જે બાદ જથ્થો સીઝ કરી દેવાયો હતો. આ ઉપરાંત તપાસ દરમિયાન સ્થળ પર જ એક્સપાયર ડેટ વાળું ઘી પણ મળી આવ્યું હતું, જેની કિંમત અંદાજે 1.40 લાખની કિંમતનું ઘી જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગની ટીમે ઘીન ડીસાની ડમ્પીંગ સાઈટ પર જઈને નાશ કરી દીધો હતો. પેઢીના સંચાલક નિકુંજ બાંડીવાલાએ ગ્રાહકોને આકર્ષવા માટે ગાયના ઘીનું આકર્ષક લેબલિંગ કરીને હર ગૃહિણી કી પહેલી પસંદ ગૌરસ ગાય ઘી પ્રોડક્ટ ઉત્પાદન કરતા હતા. પ્રાપ્ત વિગતો મુજબ આ પેઢી ઉપર અગાઉ પરથી લેવામાં આવેલા ઘીના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવ્યા હતા.
સતલાસણા તાલુકાના વાવ ખાતે વેપારીને જ્ઞાતિ વિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ પોતે ભાજપનો પ્રમુખ હોવાનો દાવો કરી પોલીસ ફરિયાદ પાછી ખેંચવા દબાણ કર્યું હતું. આ મામલે સતલાસણા પોલીસે સરતનપુર (ગઢ) ગામના વિરેન્દ્રસિંહ લાલસિંહ ચૌહાણ સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સતલાસણાની વાવ ચોકડી પર જય અંબે શક્તિ પાર્લર ચલાવતા કાનજીભાઈ રણછોડભાઇ સેનમાના ભાણા કિરણકુમારના ગત 7 ફેબ્રુઆરીએ કેશરપુરામાં લગ્ન પ્રસંગે નીકળેલા વરઘોડામાં ગામના નરેશજી દશરથજી ઠાકોરે વીડિયો ઉતાર્યો હતો. બાદમાં 8 ફેબ્રુઆરીએ કેશરપુરા ગામ નામના સોશિયલ ગ્રુપમાં મેસેજ કરાયો. જેમાં વેપારીના સમાજના લોકોને સામાજિક બહિષ્કાર કરવાની વાત લખાઈ હતી. આ મેસેજ અને બાદમાં થયેલા ફોનથી વ્યથિત થઈ કાનજીભાઈએ સતલાસણા પોલીસ સ્ટેશનમાં નરેશજી ઠાકોર વિરુદ્ધ અરજી આ પી હતી. આ વાતની અદાવત રાખી ગત 11 માર્ચે તેઓ દુકાને હાજર હતા, ત્યારે સરતનપુર (ગઢ) ગામના વિરેન્દ્રસિંહ લાલસિંહ ચૌહાણ ત્યાં ગયા હતા. તેમણે અરજી પાછી ખેંચવા દબાણ કર્યું હતું. ના પાડતાં ઉશ્કેરાઈ અપશબ્દો બોલી હું ભાજપનો પ્રમુખછું, તારો ધંધો બગાડી નાખીશ અનેખોટા કેસમાં ફસાવી દઈશ, પત્તો નહીંલાગે કહી જાનથી મારી નાખવાનીધમકી આપી હતી. જે મામલેવેપારીએ ફરિયાદ નોંધાવી હતી.
મહેસાણા શહેરમાં ફૂંકાયેલા તોફાની પવનના કારણે અનેક સ્થળોએ નુકસાન નોંધાયું હતું. હોર્ડિંગ્સના પડદા મોટા પ્રમાણમાં ફાટી ગયા હતા, જ્યારે અનેક બેનરો તૂટી જઈ સીધા રસ્તા પર પડ્યા હતા. 25થી વધુ જગ્યાઓએ કોમ્પલેક્ષોના સાઇડ બેનરો નુકસાનગ્રસ્ત બન્યા હતા. બિલાડી બાગ રોડ પર ડિવાઇડરમાં સ્ટ્રીટ લાઇટનો પોલ, જ્યારે ઇન્દિરાનગર ચોકમાં હાઈમાસ્ટ પોલ બેઝમાંથી તૂટી પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં પતરાના બેરિકેડ પવનમાં ઉડીને રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. તોરણવાળી ચોક, માર્કેટયાર્ડ, બસ સ્ટેશન રોડ, રાધનપુર રોડ, મોઢેરા રોડ અને માનવ આશ્રમ રોડ પર દુકાનોના પાટિયા અને પ્લાસ્ટિક આવરણો ફાટી લટકતા જોવા મળ્યા હતા. અનેક જગ્યાએ મકાનોની છત પરના સોલાર કેબલ છૂટા પડી ગયા હતા.
ગ્રાહકોને ભારે મુશ્કેલી:બુકિંગ છતાં સિલિન્ડર નહીં અપાતા ગોડાઉન પર હોબાળો
એકતરફ જિલ્લા પુરવઠા તંત્ર ગેસ સિલિન્ડરનો પુરતો સ્ટોક હોવાનો અને સ્થિતિ સામાન્ય હોવાના દાવા કરી રહ્યું છે બીજીતરફ ગેસ એજન્સી તરફથી ગ્રાહકોને સમય પર ગેસ સિલિન્ડર પુરા પાડવામાં નહીં આવતા હોવા મામલે સેક્ટર-30માં આવેલા ગેસ એજન્સીના ગોડાઉન પર ભારે હોબાળો મચી ગયો હતો. તંત્રના અધિકારીઓ સબ સલામતનો પોકાર ચેમ્બરોમાં બેસીને કરી રહ્યા છે જ્યારે સ્થળ પર સ્થિતિ અલગ છે. ગ્રાહકોના જણાવ્યા પ્રમાણે અગાઉથી બૂકીંગ કરાવીને મોબાઇલ પર તે માટેનો ઓથેન્ટિકેશન કોડ મળ્યો હોય તેવા ગ્રાહકો સિલિન્ડર લેવા માટે પહોંચ્યા હતા પરંતુ કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં સિલિન્ડર મળ્યો ન હતો. એજન્સીના માણસો દ્વારા સર્વર ડાઉન છે અને કેવાયસી થયું નથી તેવા કારણો દર્શાવીને ગ્રાહકોને રીતસરના પરેશાન કરી પરત મોકલવામાં આવ્યા હતા. કલાકો સુધી લાઇનમાં ઉભા રહીને કંટાળેલા ગ્રાહકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, તાત્કાલિક પોલીસ પહોંચી જતા સ્થિતિ થાળે પડી હતી. યુદ્ધની સ્થિતિમાં ગેસ સિલિન્ડરોની અછત વચ્ચે ગાંધીનગરનું વહીવટી તંત્ર માત્ર વાતો કરી રહ્યું છે પરંતુ વાસ્તવિકતા જુદી જોવા મળે છે. સમગ્ર તંત્ર હાલ ચાર્જમાં ચાલી રહ્યું છે. કલેક્ટર ચાર્જમાં છે અને પુરવઠા અધિકારી પણ ચાર્જમાં છે. જેના કારણે એજન્સીઓમાં તપાસની પણ કાર્યવાહી થતી નથી. યોગ્ય તપાસ કર્યા વિના કે પરિસ્થિતિ જાણ્યા વિના જ અધિકારીઓ દ્વારા સબ સલામતનો રીપોર્ટ સરકારમાં કરી દેવામાં આવે છે. જેથી ધીમે ધીમે શહેરમાં સ્થિતિ વણસી રહી છે.
વાતાવારણમાં પલટો:વહેલી પરોઢે 60 કિમીની ઝડપે ફુંકાયેલા વાવાઝોડાએ શહેરને ધમરોળ્યું, મોડી સાંજે માવઠું
પશ્ચિમ ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર રાજ્યના વાતાવારણમાં પલટો આવ્યો છે જેની તીવ્ર અસર ગાંધીનગરમાં પણ જોવા મળી છે. ગુરુવારે વહેલી પરોઢે 4 વાગ્યાથી 50થી 60 કિલોમીટરની ઝડપે પવન સાથે ફુંકાયેલા વાવાઝોડાએ સમગ્ર શહેરને ઘમરોળી નાખ્યું હતું. બે કલાક સુધી ચાલેલી આંધી બાદ દિવસ દરમિયાન વાતારણ સામાન્ય અને વાદળછાયુ રહ્યું હતું પરંતુ સાંજે ફરી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ કમોસમી વરસાદ પડ્યો હતો. વાતાવરણમાં પલટો આવતા જનજીવન પર અસર પડી હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર પાકિસ્તાન ઉપર 3.1 કિમી ઊંચાઈએ આવેલા ઉપરના હવાના સાઇકલોનિક સર્કુલેશન સાથે જોડાયેલ પશ્ચિમ ડિસ્ટર્બન્સ અને પશ્ચિમ રાજસ્થાન ઉપર રહેલા નીચલા સ્તરના સર્ક્યુલેશનને કારણે રાતોરાત ભેજ અને અસ્થિરતા ઉદભવી છે. માર્ચ મહિનાની આ સામાન્ય સ્થિતિએ સ્થિર ગરમ હવાને ઝડપથી સંવહન પ્રવૃત્તિમાં ફેરવી દીધી, જેના પરિણામે ગાંધીનગર, અમદાવાદ અને કલોલ વિસ્તારોમાં વહેલી સવારે પવન અને ગાજવીજની સ્થિતિ સર્જાઇ હતી. હવામાન ખાતા દ્વારા અગાઉથી જ 18થી 20 માર્ચ દરમિયાન હવામાનમાં ફેરફારની આગાહી કરવામાં આવી હતી. ભારે પવનથી અનેક સ્થળોએ ઝાડ પડી જવાના કિસ્સા બન્યા હતા. વહેલી પરોઢે જ લોકો સુઇ રહ્યા હતા ત્યારે તીવ્ર ઝડપે પવન ફુંકાયો હતો અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારબાદ સાંજના સમયે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો હતો. ભારે પવન અને કમોસમી વરસાદને કારણે ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થઇ ગયા છે. તાપમાન 2.6 ડિગ્રી ગગડી ગયુંએકતરફ શરૂઆતમાં જ ઉનાળો આકરો મિજાજ બતાવી રહ્યો હતો અને તાપમાન 40 ડિગ્રી ઉપર પહોંચી ગયું હતું ત્યારે ધીમે ધીમે ગરમી વધવાના અણસાર હતા તેવામાં જ હવામાનમાં પલટો આવતા છેલ્લા 24 કલાકમાં જ લઘુતમ તાપમાન 2.6 ડિગ્રી જેટું ઘટીને 20 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 1.2 ડિગ્રી ઘટીને 34.6 ડિગ્રીએ રહ્યું હતું. વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયોવહેલી સવારે ભારે પવન ફૂંકાતા શહેરના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઇ ગયો હતો. સરગાસણ ટીપી-9 સહિતના અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી. જોકે વાવાઝોડાની સ્થિતિ સામાન્ય થયા બાદ ફરી વીજ પૂરવઠો પૂર્વવત થઇ ગયો હતો.
સમસ્યા:શહેરમાં મેટ્રો સ્ટેશન પાર્કિંગનો મામલો ત્રણ વિભાગ વચ્ચે ફસાયો, GMCનું ટેન્ડર લટક્યું
ગાંધીનગરમાં મેટ્રો રેલ મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીના પૂર્ણ રૂટ પર કાર્યરત થઇ ગઇ છે હવે મેટ્રોને આનુસંગિક સુવિધા એવી પાર્કિંગ પ્લેસ વિકસાવવાની કામગીરીનો મુદ્દો ત્રણ વિભાગો વચ્ચે ફસાયો છે. જેના કારણે પાર્કિંગની સુવિધા ઉભી કરવાની બાબત અટવાઇ ગઇ છે. આ મામલે મહાનગરપાલિકા દ્વારા સૌથી પહેલા આગેવાની લઇને આયોજન કરાયું હતું પરંતુ માર્ગ અને મકાન વિભાગ અને મેટ્રો તંત્ર દ્વારા પણ પાર્કિંગ પ્લેસ વિકસાવવાની વાત કરી રહ્યા છે. આ મુદ્દે હવે કોણ પાર્કિંગ પ્લેસની સુવિધા નાગરિકોને આપશે તેનો નિર્ણય થયો નથી ત્યાં સુધી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી પણ અટકી પડી છે. મહાનગરપાલિકાએ તો ટેન્ડર પણ બહાર પાડી દીધું હતું પરંતુ હાલ કામ શરૂ થઇ શક્યું નથી. ગાંધીનગરથી અમદાવાદ સુધી મોટા પ્રમાણમાં મુસાફરો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, વેપારી વર્ગ મેટ્રોમાં અવરજવર કરી રહ્યા છે ત્યારે તેમના વાહનોના પાર્કિંગ માટે મેટ્રો સ્ટેશનો પાસે સુવિધા હોવી જરૂરી છે. મેટ્રો તંત્ર દ્વારા આ મામલે સ્ટેશન બનાવ્યા ત્યારે કોઇ આયોજન કરાયું ન હતું. સેક્ટર વિસ્તારમાં આસપાસની જગ્યા માર્ગ અને મકાન વિભાગ હસ્તક છે પરંતુ આ વિભાગે પણ પાર્કિંગની જગ્યા માટે કોઇ આયોજન કર્યું ન હતું. બીજીતરફ મહાનગરપાલિકાએ આગેવાની લઇ પ્રથમ તબક્કે સેક્ટર-1 મેટ્રો સ્ટેશન ખાતે પાર્કિંગની સુવિધા માટે મહાનગરપાલિકા દ્વારા 1.12 કરોડના ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા હતા. આ કામગીરી પણ શરૂ કરવાની તૈયારી કરી દેવાઇ હતી. પરંતુ હવે માર્ગ અને મકાન વિભાગે પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવાની તૈયારી બતાવી છે. જમીન તેની હોવાથી અન્ય વિભાગ કશું કરી શકે તેમ નથી. બીજીતરફ મેટ્રો તંત્ર પણ સ્ટેશન આસપાસ પાર્કિંગની સુવિધા માટે પોતે જ તૈયારી કરી રહ્યું છે. 19 સ્થળોએ પાર્કિંગની સુવિધાની જાહેરાત કરાઈનાગરિકોને મેટ્રો સ્ટેશનો પર પાર્કિંગની સુવિધા આપવા માટે મહાનગરપાલિકા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરીને 9 મેટ્રો સ્ટેશન પાસે 19 સ્થળોએ ટુ વ્હીલર અને ફોર વ્હીલર મળીને 2100 વાહનો માટે પાર્કિંગની સુવિધા વિક્સાવવાની જાહેરાત કરાઈ હતી. હાલ એકપણ મેટ્રો સ્ટેશન પર પાર્કિંગની સુવિધા નથીતપોવન સર્કલથી લઇને મહાત્મા મંદિર સુધીના તમામ મેટ્રો સ્ટેશન પર હાલ પાર્કિંગની કોઇ વ્યવસ્થા નથી. આ માટે આયોજન થયું હતું પરંતુ ત્રણ વિભાગો વચ્ચે મામલો અટવાતા હવે પાર્કિંગ ક્યારે બનશે અને કોણ બનાવશે તે બાબત અનિશ્ચિત બની ગઇ છે.
બેઠક:તંત્રની ખામીને કારણે નાગરિકોના કામો અટકવાં ન જોઇએ: હર્ષ સંઘવી
ગાંધીનગર જિલ્લા આયોજન મંડળની બેઠક નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં વર્ષ 2026-27 દરમિયાન જિલ્લામાં કરવામાં આવનાર વિકાસ કાર્યોનું આયોજન કરાયું હતું તેમજ તેને મંજૂરી અપાઈ હતી. આગામી વર્ષ માટે 9.50 કરોડના ખર્ચના 371 કામોને મંજૂરી અપાઇ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લાના તમામ અધિકારીઓને જાહેર જનતાના એક પણ કામમાં વિલંબ ના થાય અને કોઈ પણ ટેકનિકલ કે નાની એરરના કારણે જનતાના હિતના કામો અટકાય નહીં તે માટે તાકીદ કરી હતી. તેમણે તમામ અધિકારીઓને સંકલન થકી જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ઝડપી રીતે પૂર્ણ કરવા સહયોગ સાધવા જણાવ્યું હતું. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 15 % વિવેકાધીન તાલુકા કક્ષાની 721 લાખ, 15% ખાસ અંગભૂત હેઠળ 79 લાખ તથા નગરપાલિકા કક્ષાની 150 લાખ ગ્રાન્ટ અંતર્ગત કુલ 950 લાખના કુલ 371 કામમાંથી શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા, પાણી પુરવઠા, ગંદા વસવાટોની સુધારણા, વીજળીકરણ, ભૂમિ સંરક્ષણ, પોષણ વગેરે વિભાગ અંતર્ગતના કુલ 363 વિકાસ કાર્યો માટે 934.23 લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી.
આયોજન:વીવીઆઇપી કોન્વોય માટે GMC આધુનિક રેસ્ક્યૂ વ્હિકલ ખરીદશે
ગાંધીનગર રાજ્યનું પાટનગર હોવાથી સતત વીવીઆઇપી મૂવમેન્ટ રહે છે. વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને અન્ય વીવીઆઇપી મહાનુભાવોના કાફલામાં સમાવેશ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ઇમરજન્સી અને રેસ્ક્યુ સુવિધા સાથેના બે અદ્યતન કોન્વોય વાહનો ખરીદવામાં આવશે. આ બંને વાહનો ફાયર બ્રિગેડને અપાશે. પ્રોટોકોલ પ્રમાણે આ પ્રકારના વાહનો વીવીઆઇપી મૂવમેન્ટ વખતે તેમના કોન્વોયમાં રાખવાના હોય છે. હાલ આ પ્રકારના બે વાહનો છે પરંતુ નવી અદ્યતન સુવિધા સાથેના 4 બાય 4 એસયુવી ટાઇપ મજબૂત કોન્વોય વ્હીકલ ખરીદવાની પ્રક્રિયા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. આ કન્વોય વાહનોમાં આધુનિક ટેક્નોલોજી સાથે વિવિધ પ્રકારના રેસ્ક્યુ અને ફાયરફાઇટિંગ સાધનો મૂકવામાં આવશે. ખાસ કરીને તેમાં હાઇડ્રોલિક કટર અને કોમ્બી ટૂલ્સ રહેશે, જે વાહન અકસ્માતમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે મેટલ કાપવા, ફેલાવવા અને લિફ્ટિંગ માટે ઉપયોગી બનશે. વાહનમાં પોર્ટેબલ CAFS (Compressed Air Foam System) પણ આપવામાં આવશે, જે શરૂઆતના તબક્કામાં આગ બુઝાવવા માટે ખૂબ અસરકારક રહેશે અને ઓછા સમયમાં ફોમ છાંટીને આગને નિયંત્રિત કરી શકશે. તે ઉપરાંત, પેટ્રોલ ઓપરેટેડ ચેઇન સો અને ડાયમંડ ચેઇન સો જેવી સાધનો રાખવામાં આવશે, જે ઝાડ, કોંક્રિટ અથવા અન્ય અવરોધોને કાપવા માટે ઉપયોગી બનશે. વાહનમાં મલ્ટી-ફંક્શનલ હૂક સિસ્ટમ રહેશે, જેમાં ફાયર એક્સ, હેમર, શોવલ, સો અને અન્ય ટૂલ્સ એક જ કિટમાં ઉપલબ્ધ રહેશે, જેથી આપત્તિ સ્થળે તરત જ વિવિધ પ્રકારની કામગીરી કરી શકાય. સાથે જ, 2 ટન ક્ષમતા ધરાવતો ઇલેક્ટ્રિક વિન્ચ પણ ફિટ કરવામાં આવશે, જે ભારે વસ્તુઓ ખેંચવા અથવા અકસ્માતમાં ફસાયેલા વાહનોને હટાવવા માટે ઉપયોગી રહેશે. વીવીઆઇપી રૂટમાં કોન્વોયના વાહનોનો આંતરિક અકસ્માત, રૂટ પર અન્ય વાહનોનો અકસ્માત કે આગ જેવા બનાવ બને ત્યારે આ કન્વોય વાહનોનો મુખ્ય ઉપયોગ રેસ્ક્યુ અને રાહત કામગીરી માટે થઇ શકશે.
ભાસ્કર ઇમ્પેક્ટ:બહુમાળી ભવનમાં પાર્કિંગ સ્ટેન્ડની જોખમી છતો અંતે દૂર કરી નવી નંખાઈ
સુરેન્દ્રનગર શહેરથી દૂર આવેલી ખેરાળી રોડ પરની બહુમાળી ભવનની મોટા ભાગની કચેરીઓમાં પ્રાથમિક સુવિધા ન હોવાથી અરજદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે વધુમાં આ ભવનની અંદાજે 30 જેટલી કચેરી આવેલી છે. ત્યારે લોકોની સુવિધા માટે બિલ્ડિંગમાં જ વાહન પાર્કિંગ જોખમી દેખાતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો. ત્યારે હાલ આ જોખમી ઉપરનો ભાગ દૂર કરી નવી વ્યવસ્થા કરાતા લોકોમાં રાહત ફેલાઇ હતી. ખેરાળી રોડ પર આવેલી આ બહુમાળી ભવનમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોના અરજદારો ભાડા ખર્ચીને કામકાજ અર્થે જાય છે. બિલ્ડિંગ ભવન બન્યું ત્યારે લોકોને મુશ્કેલીઓ ન પડે તે માટે અંદાજે 2 જેટલા વાહન પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેમાંથી એક સ્ટેન્ડ ઉપરથી છતો જર્જરિત થવાની સાથે તૂટેલી હાલતમાં દેખાઇ રહી હતી. આથી અહીં આવતા અરજદારો તેમજ વાહનચ લકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો. બીજી તરફ આ ભવનના બિલ્ડિંગમાં ફ્લોર પર કઇ કચેરીઓ આવેલી છે તેના બેથી વધુ બોર્ડ પણ કચેરીઓના નામ સાથે મૂકવામાં આવ્યા હતા. પરંતુ સમય જતા આ બોર્ડ પણ ઝાંખા પડી છે. બોર્ડમાં કચેરીઓના નામ યોગ્ય રીતે નહીં વંચાતા અરજદ રોને એક બિલ્ડિ ગમાંથી બીજી બિલ્ડિંગમાં ધરમધક્કા ખાવા પડી રહ્યા છે. જર્જરિત પાર્કિંગ સ્ટેન્ડના કારણે નાના મોટા વાહનો અવરજ વરથી તેમજ પાર્કિંગોના કારણે લોકોને અક્માતનો ભય રહેતો હતો. આ બાબતની ગંભીરતા લઇને તંત્ર દ્વારા પાર્કિંગ સ્ટેન્ડનો ઉપરનો જોખમી ભાગ દૂર કરી નવો નંખાતા લોકોમાં રાહતની લાગણી ફેલાઇ હતી.
સુરેન્દ્રનગરની સૌથી મોટી ગણાતી ગાંધી હોસ્પિટલ હાલ તેની સારવાર માટે ઓછી અને અસામાજિક તત્વોના ત્રાસ માટે વધુ ચર્ચામાં આવી છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકો જ્યાં આશા સાથે સારવાર માટે આવે છે, ત્યાં બગીચામાં જ દારૂની મહેફિલો જામતી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ગાંધી હોસ્પિટલમાં દૈનિક 450થી વધુ દર્દીની ઓપીડી નોંધાય છે. હોસ્પિટલમાં પ્રસૂતિ વિભાગ હોવાથી મોટી સંખ્યામાં મહિલા દર્દીઓ અને નવજાત શિશુઓ પણ અહીં હોય છે. દૂર-દૂરથી આવતા પરિવારજનો હોસ્પિટલના બગીચાનો ઉપયોગ આરામ કરવા કે જમવા માટે કરે છે, પરંતુ આ જ બગીચો હવે ભયનું સ્થાન બની ગયો છે. ગાંધી હોસ્પિટલના બગીચામાં ગમે ત્યાં નજર નાખો ત્યાં દેશી દારૂની ખાલી કોથળીઓ દ્રશ્યમાન થાય છે. આવારા તત્વો જાહેરમાં અહીં દારૂ પીવા માટે આવતા હોવાથી દર્દીઓના પરિવારજનોમાં ભારે રોષ અને ભય ફેલાયો છે. ગરીબ દર્દીઓ માટેના આ આશીર્વાદરૂપ સ્થળને આવારા તત્વોએ અડ્ડો બનાવી દીધું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં રાત્રિના સમયે સિક્યુરિટીનો સદંતર અભાવ જોવા મળે છે. તંત્ર દ્વારા કોઈ જ કડક પગલાં લેવામાં ન આવતા અસામાજિક તત્વો બેફામ બન્યા છે. જ્યાં દર્દીઓને શાંતિ મળવી જોઈએ, ત્યાં અશાંતિ અને ગંદકીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે ઇન્ચાર્જ સીડીએમઓ ડો. જયદીપ ગોસાઇએ જણાવ્યુ કે, હું બે દિવસ ઇન્ચાર્જમાં છું, આ બાબતે તપાસ સાથે કાર્યવાહી કરાશે. રાષ્ટ્રપિતા ગાંધીજીના ચશ્મા પણ ગાયબસુરેન્દ્રનગરની આ મોટામાં મોટી હોસ્પિટલ છે, જ્યાં રાષ્ટ્રપિતા ગાંધીજીના નામે હોસ્પિટલ તો છે પણ તેમના ચશ્મા પણ ગાયબ છે. એક બાજુ સ્વચ્છતાના દાવા થાય છે, પણ વાસ્તવિકતા એ છે કે આ હોસ્પિટલ દારૂ પીવાનો અડ્ડો બની ગઈ છે. રાત્રે સિક્યુરિટીના નામે મીંડું છે અને તંત્ર ઘોર નિદ્રામાં છે.- સુનિલ રાઠોડ
એસટી બસ ફસાઈ:હળવદમાં બસ સ્ટેશન પાસે વરસાદી પાણીમાં બસ ફસાઈ
હળવદ નગરપાલિકા પાસે બે દિવસ પહેલા જ કોંગ્રેસ દ્વારા રસ્તા નું કામ બંધ હોવાના કારણે વિરોધ કર્યો હતો. ત્યારે ગુરુવારે વરસાદ પડતા વરસાદી પાણી રોડ પર ભરાઈ જતા મોરબી હળવદ એસટી બસ ફસાઈ ગઈ હતી. વરસાદી પાણીનો નિકાલ થતાં ત્યારબાદ એસટી બસ રવાના થઈ હતી. સદ નસીબે કોઈ જાનહાની ટળી હતી. હવામાન વિભાગની વરસાદ અને વાવાઝોડાની આગાહીના પગલે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડું અને વરસાદ પડ્યો હતો . ત્યારે હળવદમાં પણ વરસાદના પગલે હળવદ નગરપાલિકા સામે બસ સ્ટેશન રોડ ઉપર વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે બે દિવસ પહેલા જ કોંગ્રેસ દ્વારા રસ્તાનું કામ અધૂરું રહેવાના કારણે લોકો પરેશાન છે. ત્યારે રસ્તાના કામ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા એસટી બસ ફસાઈ ગઈ હતી . પરંતુ થોડીવાર બાદ પાણીનો નિકાલ થતાં એસટી બસ જતી રહી હતી. પરંતુ સદનશીબે કોઈ જાનહાની ટળી હતી. હળવદમાં વૃક્ષો ધરાશાઈ, ગ્રામ્ય વિસ્તારમાં પણ નુકશાન વાવાઝોડાના પગલે હળવદની સરા ચોકડીએ તેમજ બસ સ્ટેશન પાછળની હિલોળી હનુમાનજી મંદિરના પટાંગણમાં આવેલ વૃક્ષ ધરાશય થતા સામે રહેતા દેવસીભાઈ છગનભાઈ પરમાર ઘરની સામે પાકૅ કરેલ છકડો રીક્ષાને નુકશાન થયું હતું, તેમજ ટીકર રણ પંથકમાં અગરિયાના સોલાર તેમજ મીઠુંના પાટાને પણ ભારે નુકસાની થઈ હતી. આમ હળવદ તાલુકાના ચરાડવા, ઘનશ્યામપુર, ભલગામડા, દીઘડીયા, કેદારીયા વિસ્તારોમાં વૃક્ષો ધરાશય થયા હતા.
ઝાલાવાડની ધરતી પર ગુજરાત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે ખેલદિલી, તેજ બુદ્ધિ અને સચોટ વ્યૂહરચનાનો અદભૂત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના આંગણે તાજેતરમાં 16 થી 18 માર્ચ દરમિયાન ‘ડીજીપી કપ ચેસ ટુર્નામેન્ટ 2025-26નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ સુધી ચાલેલી આ સ્પર્ધામાં રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પોલીસ ખેલાડીઓએ શતરંજના બોર્ડ પર પોતાની ચાલબાજી બતાવી હતી. સામાન્ય રીતે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં વ્યસ્ત રહેતા પોલીસ કર્મચારીઓ આ વખતે શતરંજના રાજા-વજીરની રમતની રણનીતિમાં માહિરતા બતાવી હતી. આ ટૂર્નામેન્ટમાં ગુજરાતના ખૂણેખૂણેથી કુલ 46 જેટલા રમતવીર પોલીસ જવાનો અને અધિકારીઓએ ભાગ લીધો હતો. સમગ્ર સ્પર્ધા દરમિયાન કુલ 7 રાઉન્ડ રમાયા હતા, જેમાં દરેક રાઉન્ડમાં પ્રતિસ્પર્ધા ખૂબ જ કઠિન અને રસાકસીભરી રહી હતી. પોલીસ કર્મીઓમાં રહેલી બૌદ્ધિક ક્ષમતા અને ધૈર્યની કસોટી આ ટૂર્નામેન્ટમાં જોવા મળી હતી. સ્પર્ધાના અંતે વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કચ્છ-ભુજ જિલ્લાના સંજયભાઈ વેલજીભાઈએ શાનદાર દેખાવ કરી પ્રથમ ક્રમ હાંસલ કરી ચેમ્પિયન ટ્રોફી જીતી લીધી હતી. જ્યારે અમરેલીના સમીરભાઈ એ. ખાન બીજા ક્રમે અને રાજકોટ સીટીના ધનરાજસિંહ દિલીપસિંહ ત્રીજા ક્રમે વિજેતા જાહેર થયા હતા. રાજકોટ રેન્જમાં પ્રથમ અને ગુજરાતમાં પાંચમો સુરેન્દ્રનગર સીટી એડીવીઝન પોલીસ સ્ટેશનના વિજયસિંહ એ પરમારહાંસલ કર્યો હતો. સમાપન સમારોહમાં વિજેતાઓને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ આયોજનનો મુખ્ય હેતુ પોલીસ વિભાગના કર્મચારીઓમાં એકતા, સકારાત્મક ઊર્જા અને માનસિક સ્વસ્થતા વધારવાનો હતો. તમામ સહભાગી ખેલાડીઓને તેમની ખેલદિલી બદલ જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાના પ્રથમ દિવસે જ વાવાઝોડાનું વિધ્ન નડયું હતું. ભરૂચ અને નર્મદા જિલ્લાના વાતાવરણમાં મોડી સાંજે પલટો આવતાં 30 કિમીથી વધુની ઝડપે વાવાઝોડું ફુંકાયું હતું. વાવાઝોડાના પગલે નર્મદા જિલ્લામાં ચાલી રહેલી પંચકોશી પરિક્રમા અટકાવી દેવામાં આવી છે. તિલકવાડા અને શહેરાવ ઘાટ વચ્ચે બનાવેલો હંગામી પુલ બંધ કરી દેવાયો હતો. 600 જેટલા પરિક્રમાવાસીઓ અટવાય જતાં તેમને બોટ મારફતે સલામત કિનારે લાવી આસપાસના આશ્રમો તથા મંદિરોમાં આશરો આપવામાં આવ્યો છે. વાવાઝોડાના પગલે પરિક્રમાના રૂટ પર બનાવવામાં આવેલાં મંડપો ઉડી ગયાં હતાં. બે કલાક સુધી પરિક્રમા રોકી રાખવામાં આવી હતી. એક કલાક સુધી વીજળી પર ડુલ રહેતાં અરાજકતા ફેલાઇ હતી. નર્મદા પરિક્રમા 19 મી માર્ચથી વેહલી સવારથી શરૂ થઈ હતી.ત્યારે 19 મી એ રાત્રિના 8:30 વાગ્યાની આસપાસ વાવાઝોડા સાથે પવન ફૂંકાતા પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુઓને તકલીફોનો સામનો ન કરવો પડે એ માટે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર ખડેપગે રહી મદદે આવ્યું હતું. રાબેતા મુજબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ 19 મી એ રાત્રીએ નર્મદા પરિક્રમા કરવા માટે આવ્યા હતા. વાવાઝોડા સાથે પવન ફૂંકાતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા રામપુરા કીડી મકોડી ઘાટ આવેલા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને રામપુરા આસપાસના ઘરો અને આશ્રમોમાં શિફ્ટ કરાયા હતા. એ દરમિયાન સામે પાર જવા માટેનો હંગામી પુલ હાલ પૂરતો બંધ કરાયો છે.તો બીજી બાજુ બોટો પણ બંધ કરવાના આદેશ અપાયા હતા પરંતુ તિલકવાડા તરફથી રામપુરા કીડી મકોડી ઘાટ તરફ આવી રહેલા 500 થી 600 શ્રદ્ધાળુઓ અટવાઈ જવાની ભીતિને લીધે એ તમામ લોકોને બોટ દ્વારા સામે પાર લઈ જવાયા હતા. નર્મદા પરિક્રમા 19 મી માર્ચથી વેહલી સવારથી શરૂ થઈ હતી.તો વાવાઝોડાને લીધે નર્મદા પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે એ માટે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ ખડેપડે રહ્યું હતું. બે કલાક સુધી પરિક્રમા રોકી રાખવામાં આવી હતી. માંગરોળથી આગળ કોઇને જવા દેવામાં આવ્યાં ન હતાં. વાવાઝોડુ નરમ પડી જતાં પરિક્રમા ફરી શરૂ કરવામાં આવી હતી.
શિયાળુ પાકને નુકસાનની ભીતિ:ભાવપરા, ટુકડા,મિયાણી,વડાળા સહિતના ગામોમાં વરસાદી છાંટા
હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યના અમુક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે પોરબંદરમાં પણ ભારે વરસાદની આગાહી વચ્ચે બરડા પંથકના ભાવપરા, ટુકડા,મિયાણી,વડાળા સહિતના ગામોમાં વરસાદી છાંટા પડ્યા હતા.જેને લઈને ખેડૂતોના તૈયાર શિયાળું પાકને નુકશાનની ભીતિ જોવા મળી હતી તો પાક બચાવવા ખેડૂતોમાં દોડધામ મચી હતી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 19 થી 21 માર્ચ સુધીમાં રાજ્યના અમુક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે આ આગાહીને પગલે પોરબંદર જિલ્લામાં પણ ગુરુવારે આખો દિવસ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. પોરબંદર જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે પોરબંદરના બરડા પંથકના ભાવપરા, ટુકડા,મિયાણી,વડાળા સહિતના ગામોમાં વરસાદી છાંટા પડ્યા હતા.એક તરફ ખેડૂતોના ખેતરમાં શિયાળું તૈયાર પાક પડ્યો છે તો બીજી તરફ કમોસમી વરસાદના છાંટા પડતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા હતા અને પોતાનો પાક બચાવવા દોડધામ પણ કરી હતી.તો કમોસમી વરસાદની સાથે સાથે પવન પણ ફૂંકાયો હતો.જેથી ગરમી વચ્ચે ઠંડો પવન ફૂંકાતા ગરમીમાં પણ રાહત થઈ હતી. જિલ્લામાં ધાણા, જીરુ, ચણાના તૈયાર પાકને નુકસાન પહોંચશેપોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ પડતાં જ ખેડૂતના ખેતરમાં પડેલ ધાણા, જીરું,ચણાનો તૈયાર પાકને નુકશાન પહોંચશે,હાલ જિલ્લામાં મોટાભાગના ખેડૂતોના ખેતરમાં શિયાળું તૈયાર પાક પડ્યો છે અને હરવેસ્ટીગ સ્ટેજમાં છે જેને નુકશાન પહોંચશે. ખેડૂતો પ્લાસ્ટિક, તાલપત્રી લેવા બજારમાં દોટમૂકી જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેતરમાં પડેલ તૈયાર પાક બચાવવા ખેડૂતો બજારમાં પ્લાસ્ટિક, તાલપત્રી લેવા ડોટ મૂકી હતી જેને લઈને બજારમાં પ્લાસ્ટિક, તાલપત્રીની અછત ઉભી થઇ હતી.
પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ઠંડો પવન ફૂંકાયો હતો, જ્યારે બરડા વિસ્તારના ગામોમાં પણ કમોસમી વરસાદને પગલે ખેડૂતોએ પોતાના ખેતરમાં 30 ટકા શિયાળુ પાક બચાવવા તાલપત્રી ઢાંકવી પડી હતી. બરડા પંથકના ગામોમાં કમોસમી વરસાદ શિયાળુ પાક માટે જોખમી છે જ્યારે કેરીના ફાલ પર પણ ગંભીર અસર થવાની શક્યતા છે. પોરબંદર સહિત રાજ્યના 25 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી તા. 21 માર્ચ દરમિયાન પોરબંદર સહિત ગુજરાતના 25 જેટલા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. ત્યારે પોરબંદરમાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વાદળછાયુ વાતાવરણ વચ્ચે પવન ફૂંકાયો હતો, જ્યારે પોરબંદરના બરડા વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાયો હતો. બરડાના બગવદર, ખાંભોદર, મજીવાણા, ફટાણા, શિંગડા, શીશલી, વાછોડા, ખિસ્ત્રી, કાટવાણા સહિતના ગામોમાં સાંજે કમોસમી વરસાદ ખાબક્યો હતો. બરડા વિસ્તારમાં બપોર પછી 4:30 વાગ્યે આકાશમાં ઘટાટોપ વાદળા મેઘગર્જના સાથે જોરદાર પવન અને ધીમીધારે વરસાદ ચાલુ થયો હતો. ઉલ્લેખનીય છે કે, હાલ શિયાળુ પાક 70 ટકા સમેટાઈ ગયેલ છે જ્યારે 30 ટકા પાક ઉપાડવાનો બાકી છે જેમાં ધાણા, જીરૂ , ઘઉં, ચણા અને ઘાસચારાનો સમાવેશ થાય છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા, શિયાળુ પાકને ક્મોસમી વરસાદથી બચાવવા ખેડૂતોએ તાલપત્રી ઢાંકવી પડી હતી. જોકે કમોસમી વરસાદ થવાથી પાકને નુકસાનીનું જોખમ રહે છે જ્યારે બરડા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતો હોવાને કારણે બરડાના કાટવાણા, વિંજરાણા સહિતના ગામોમાં કેરીના પાકમાં નુકસાનીની શક્યતા જોવા મળે છે. ભારે પવનના કારણે કેરીના ફાલમાં આવતા આંબામોર અને ખાખડિયું ખરી જવાની શક્યતા રહેતી હોવાથી આંબાના પાકને નુકશાનની ભીતિ રહેલ છે. કુતિયાણા પંથકમાં ઝરમર વરસાદ સાથે પવન ફૂંકાયો હવામાનની આગાહી મુજબ પોરબંદર જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ત્યારે કુતિયાણામાં પણ ધૂપછાવ વાતાવરણ રહ્યું હતું. સાંજે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ પડયો હતો અને ભારે પવન ફૂંકાયો હતો. વરસાદી વાતાવરણ વચ્ચે બપોરના સમયે સાંજ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.
ખારવા સમાજ દ્વારા રાંદલ મહોત્સવની ઉજવણી:ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, 23 સ્થળે માતાજીનું સ્થાપન
પોરબંદરમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. ભાવિકો માતાજીની પૂજા અર્ચના અને વ્રત કરી આસ્થાભેર નવરાત્રીની ઉજવણી કરશે. ગુજરાતમાં એકમાત્ર પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે જેમાં બહેનો રાસ રમી માતાજીની આરાધના કરે છે. ખારવા સમાજના ટ્રસ્ટી અશ્વિનભાઇ મધુભાઈ જુંગી એ જણાવ્યું હતુકે, ખારવાસમાજ રાંદલ માતાને આરાધ્ય દેવી માને છે અને ખારવા સમાજના વડવાઓ દ્વારા શરૂ કરેલ પરંપરા આસ્થાભેર નિભાવવામાં આવે છે. ખારવાવાડ વિસ્તારમાં 21 અને સુભાષ ગરમાં 2 એમ 23 જગ્યાએ રાંદલ માતા ગોરમાવડી ઉત્સવ ઉજવાઈ છે. ખાસ કરીને ખારવાવાડમાં મોટી રાંદલનું અનેરું મહત્વ રહેલું છે. જે જગ્યાઓ પરથી જ્યાં માતાજીના સ્થાપન છે ત્યાંથી બહેનો દરિયાના પાણીમાં પાટલા ધોઈ છે. ફાગણ માસની પૂનમ પછી પાટલા ધોઈ છે અને બાદ સ્થાપન કરી ફાગણ માસની અગિયારસ સુધી માતાજીના રાસ ગરબાનું આયોજન કરે છે. ચપ્પલ પહેર્યા વિના રાસ રમાઈ છે હાલ નવરાત્રી ગોર મવડી ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ખારવાવાડમાં માતાજીના સ્થાપન બહાર જગ્યામાં બાળાઓ અને બહેનો રાસ રમી માતાજીની આરાધના કરે છે ત્યારે સંસ્કૃતિ મુજબ પગમાં ચપ્પલ પહેર્યા વિના રાસ રમી માતાજીની ગરિમા જાળવે છે અને માતાની ખરા અર્થમાં આરાધના કરે છે.
કમોસમી વરસાદે આજે સાંજે જાણે સમગ્ર અમરેલી જિલ્લાને ઘમરોળી નાખ્યો હતો. ઢળતી સાંજે જિલ્લાભરમાં ભારે આંધી તોફાન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે ચારે તરફ ભારે ખાનાખરાબી સર્જાઇ હતી. મોટા પ્રમાણમાં વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. જેનાથી વીજ પુરવઠો પણ પ્રભાવિત થયો હતો. કેરી ઉપરાંત રવિ પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. સાંજે અમરેલીમાં ચડી આવેલા વાદળો જાણે અષાઢ વરસતો હોય તેમ ગાજવીજ સાથે વરસી પડ્યા હતા. આ પૂર્વે ધૂળની આંધી ફુંકાઈ હતી. જેના કારણે સમગ્ર શહેરમાં પ્લાસ્ટિકનો કચરો ફરી વળ્યો હતો. વરસાદના કારણે અમરેલીના મોટાભાગના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ઠેબી નદીના કાંઠે લાગેલી મરચા બજાર પાણી પાણી થઈ હતી. શહેરમાં અનેક સ્થળે હોર્ડિંગ્સ અને દુકાનોના બોર્ડ ઊડ્યા હતા. વડીયા, સાવરકુંડલા, ધારી, અમરેલી, લીલીયા, લાઠી વિગેરે વિસ્તારમાં અતિ ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે ઠેક ઠેકાણે વૃક્ષો મૂળ સહિત ઉખડી ગયા હતા. સમગ્ર જિલ્લામાં 150થી વધુ વૃક્ષો ધરાશાયી થયાનું જાણવા મળેલ છે. વૃક્ષો પડી જતા અમરેલી વડીયા માર્ગ ઉપરાંત અમરેલી સાવરકુંડલા માર્ગ અને લાઠીનો માર્ગ પણ બંધ થયો હતો. અને મોડેથી વૃક્ષો હટાવી તે શરૂ કરાયો હતો. સાવરકુંડલામાં બે પાલા ધરાશાયી થયા હતા. ઉપરાંત અનેક હોર્ડિંગ પણ ઉડ્યા હતા. વડીયા પંથકમાં 10 વૃક્ષો પડી ગયા હતા. બાબરા પંથકમાં અતિ ભારે પવન અને વરસાદના કારણે મોટું નુકસાન થયું હતું. અહીં કથા મંડપના સમિયાણો હવામાં ઊડ્યો હતો. એક સ્થળે કાર પર વૃક્ષ તૂટી પડ્યું હતું. લાઠીમાં ગાગડીયા સર્કલ પાસે વૃક્ષો તૂટી પડતા રસ્તો બંધ થયો હતો. ધારીમાં મોડી સાંજે આકાશ ઘનઘોર વાદળોથી ઘેરાઈ ગયું હતું અને આંધી સાથે વરસાદ ત્રાટક્યો હતો. બાબરામાં ઈંટના 150 યુનિટને નુકસાન : પવનચક્કીઓ બંધ કરાઇ બાબરામાં 150થી વધુ ઈંટ ઉત્પાદકોના યુનિટ ચાલી રહ્યા છે. આજના કમોસમી વરસાદને પગલે ઈંટ ઉત્પાદકોને મોટું નુકસાન થયું હતું. આ ઉપરાંત આ વિસ્તારમાં આવેલી પવનચક્કીઓને તાબડતોબ બંધ કરવામાં આવી હતી.
ભાસ્કર વિશેષ:અમરેલીમાં મિશન લાઈફ અભિયાન હેઠળ વોકેથોન રેલી યોજાઈ
પર્યાવરણ સંરક્ષણ, સ્વસ્થ જીવનશૈલી અને ક્લાઈમેટ ચેન્જ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે અમરેલી જિલ્લામાં મિશન લાઈફ અભિયાન અંતર્ગત વિશાળ વોકેથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નોડલ અધિકારી તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ)ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ વોકેથોન રેલીનો પ્રારંભ શહેરના સરદાર પટેલ રમત સંકુલ, ચિત્તલ રોડથી કરવામાં આવ્યો હતો. રેલી રાજકમલ ચોક સુધી પહોંચી ત્યારબાદ ફરી સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ ખાતે સમાપ્ત થઈ હતી. સમગ્ર માર્ગ દરમિયાન પર્યાવરણ બચાવ, સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની અને ક્લાઈમેટ ચેન્જ સામે જાગૃત બનવાની અપીલ કરવામાં આવી હતી, તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સભ્યો, ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલના ખેલાડીઓ તેમજ વિવિધ રમતના કોચ અને ટ્રેનરો સહિત અંદાજે 500 જેટલા લોકોએ સક્રિય રીતે ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણની સુરક્ષા, પ્રકૃતિ સાથે સંવાદિતા અને બદલાતા હવામાનના પડકારો સામે સામૂહિક જવાબદારી નિભાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
વિરોધ:બગસરા ખાતે આંગણવાડી વર્કર બહેનોએ પડતર પ્રશ્નો ઉકેલવા માંગ ઉઠાવી ધરણાં કર્યા
બગસરા શહેર અને પંથકની આંગણવાડી વર્કર અને ફેસિલિટેટર બહેનો દ્વારા પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આંગણવાડી બહેનો દ્વારા સીડીપીઓને આવેદન પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી અને તેના અનુસંધાને ત્રણ દિવસ માટે માસ સિવિલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. બગસરા શહેરના ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે ધરણા પર બેસી સરકાર સામે સૂત્રોચાર કર્યા હતા. મહિલાઓએ હમ સબ એક હૈ અને હમારી માંગે પુરી કરો જેવા નારા લગાવી પોતાની માંગણીઓ પૂર્ણ કરવા માંગ કરી હતી. સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઇલ ફોન ડેટા એન્ટ્રી માટે યોગ્ય રીતે કાર્ય કરતા નથી, તેથી નવા મોબાઇલ આપવા, ઉપરાંત ફિક્સ પગારના બદલે કાયમી પગારધોરણ લાગુ કરવા, છેલ્લા ત્રણ મહિનાથી આંગણવાડી કેન્દ્રોના બિલો ચૂકવવામાં આવ્યા નથી, તે તાત્કાલિક ચૂકવવા તેમજ ફરજ બજાવતી બહેનોને ડ્રેસ આપવામાં આવે તેવી માંગ પણ રજૂ કરવામાં આવી છે.
ગ્રામીણ વિસ્તારમાં અંધારપટ:જિલ્લામાં ભારે આંધીથી 207 ફીડર બંધ થયા, રાત સુધીમાં 109 ફીડર ચાલુ કરાયા
અમરેલી જિલ્લામાં અચાનક ફૂંકાયેલા ભારે પવનના કારણે વીજ પુરવઠા વ્યવસ્થામાં મોટો વિક્ષેપ સર્જાયો છે. પવનની તીવ્રતા વધતા અનેક જગ્યાએ વીજ લાઈનો અને વીજપોલને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ગામડાઓમાં અંધારપટ છવાઈ ગયો છે. અમરેલી ભારે પવનના કારણે મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાય હતી જેના કારણે ઠેર ઠેર વીજ પુરવઠો ખોરવાયો હતો, જિલ્લામાં કુલ 1079 ફીડર કાર્યરત છે, જેમાંથી ભારે પવનના કારણે 207 ફીડર અચાનક બંધ થઈ ગયા હતા. PGVCLની ટીમોએ તાત્કાલિક કામગીરી શરૂ કરતાં મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં આવ્યો છે. જોકે મોડી રાત સુધી 98 ફીડર હજુ બંધ હોવાના અહેવાલ મળ્યા છે. ધારી, વાડિયા અને સાવરકુંડલા પંથકમાં પવનની અસર વધુ જોવા મળી હતી. આ વિસ્તારોમાં આશરે 15 જેટલા વીજપોલ ધરાશાઈ થયાના અહેવાલ સામે આવ્યા છે, જેના કારણે અનેક ગામોમાં હજુ પણ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે.પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને PGVCLની ટીમો યુદ્ધના ધોરણે રાત્રે પણ કામગીરીમાં લાગી ગઈ છે.

29 C