SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
...

વડોદરામાં મહિલાના નિધન ચક્ષુદાન કરાયું:આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના 'પ્રજ્ઞાચક્ષુ મુક્ત દેશ' સંકલ્પને લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળના સહયોગથી સાકાર કરાયો

વડોદરાના માંજલપુરમાં રહેતા સરજુબેન પટેલના નિધન બાદ તેમના ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે. આ સાથે શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદીના સનાતન આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના ભારત દેશ બને પ્રજ્ઞાચક્ષુ મુક્ત દેશ સંકલ્પને પરિપૂર્ણ કરવામાં આવ્યો છે. આચાર્ય મહારાજે ૨૦૧૨માં જૂનાગઢ ખાતે યોજાયેલા શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવમાં આ અભિયાનને વેગ આપ્યો હતો. તે સમયે ગુજરાતના 22000 હરિભક્તોએ ચક્ષુદાન માટે અને 332 હરિભક્તોએ દેહદાન માટે સંકલ્પ લીધો હતો. વડોદરા શહેર અને જિલ્લામાંથી 7000થી વધુ લોકોએ ચક્ષુદાન અને આઠ લોકોએ દેહદાનનો સંકલ્પ કર્યો હતો. સરજુબેન પ્રવીણકાંત પટેલે પણ શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવમાં ચક્ષુદાન કરવાનો સંકલ્પ લીધો હતો. તેમના નિધન બાદ, તેમના પુત્ર રાકેશભાઈ પટેલે શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળના સહયોગથી માતાના આ સંકલ્પને પૂર્ણ કર્યો. તેમના ચક્ષુઓનું દાન ડો. ઈન્દુમતી ટી. પટેલ આઈબેંકમાં કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળના સહયોગથી અત્યાર સુધીમાં 17 હરિભક્તોના ચક્ષુના દાન કરાવવામાં આવ્યા છે. આ પુણ્ય કાર્ય દ્વારા કુલ 34 લોકોને નવી દ્રષ્ટિ મળી છે. આ ઉપરાંત, એક હરિભક્તે દેહદાન કરીને પોતાનું શરીર મેડિકલ કોલેજને અર્પણ કર્યું હતું. મંડળના પ્રમુખ અરુણભાઈ પટેલના જણાવ્યા અનુસાર, મંડળ દ્વારા વધુમાં વધુ લોકો ચક્ષુદાન અને દેહદાન કરે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સમાજમાં આ અંગે જાગૃતિ લાવવા માટે મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 9:48 pm

ક્લચ વાયરથી ગળું દબાવી હત્યા બાદ મૃતદેહ સળગાવ્યો:પાલનપુરમાં ત્રણ દિવસથી ગુમ મહિલાનો ભોંયરામાંથી મૃતદેહ મળ્યો, 79 તોલા સોનાનો ખેલ; મહિલા સહિત ચાર આરોપીઓ સામે ગુનો

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. છેલ્લા ત્રણ દિવસથી ગુમ થયેલ 36 વર્ષીય શાન્તિબેન આકેડીવાલાનો સળગેલો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ હત્યા પાછળ આર્થિક લેતીદેતી અને વિશ્વાસઘાતનું મોટું કાવતરું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ભોયરામાંથી મળ્યો સળગેલો મૃતદેહશાન્તિબેન છેલ્લા ત્રણ દિવસથી લાપતા હતા. તેમની શોધખોળ દરમિયાન પાલનપુર ઇન્કમટેક્ષ ઓફિસ નજીક આવેલા એક બંધ ટ્રેક્ટર કમ્પાઉન્ડના ભોયરામાંથી એક સળગેલી લાશ મળી આવી હતી. તપાસ કરતા આ લાશ શાન્તિબેનની હોવાનું જાણવા મળ્યું હતું. હત્યારાઓએ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને ધાબળામાં વીંટાળી, પ્લાસ્ટિકના કટ્ટામાં ભરી અને પેટ્રોલ છાંટી સળગાવી દીધો હતો. 79 તોલા સોનું અને રોકડ હત્યા પાછળનું કારણપોલીસ FIR અને પ્રાથમિક વિગતો મુજબ, આ હત્યા પાછળ મોટું આર્થિક કારણ જવાબદાર છે. મૃતક શાન્તિબેને આરોપી રેખાબેન અને તેજાભાઇ રાઠોડને બકરા પાલનના વ્યવસાય માટે 79 તોલા સોનાના દાગીના અને 2 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. જ્યારે શાન્તિબેને પોતાના દાગીના અને નાણાં પરત માંગ્યા, ત્યારે આરોપીઓએ તે પાછા ન આપવા પડે તે માટે તેમની હત્યાનું ઘૃણાસ્પદ કાવતરું ઘડ્યું. ક્લચ વાયર વડે તેમનું ગળું દબાવી હત્યા કરીઆરોપીઓએ ફિલ્મી ઢબે હત્યાને અંજામ આપ્યો હતો. 22 માર્ચ, 2026 ના રોજ રાત્રે રેખાબેને શાન્તિબેનને હનુમાન ટેકરી પાસેની પોતાની ફર્નિચરની દુકાને બોલાવ્યા. ત્યાં તેમને પ્રસાદમાં નશાકારક પદાર્થ ભેળવીને ખવડાવવામાં આવ્યો. શાન્તિબેન બેભાન જેવી હાલતમાં થતા, રેખાબેન, રોહિત મકવાણા અને વિષ્ણુભાઈ વાલ્મિકીએ ક્લચ વાયર વડે તેમનું ગળું દબાવી હત્યા કરી નાખી. દોષિતોને કડક સજાની સ્વજનોની માંગ મૃતક શાન્તિબેનના જેઠ ડૉ.ભીખુભાઈ રામાભાઈએ જણાવ્યું કે મારા ભાઈના પત્ની બાળકો માટે નાસ્તો લેવા ગયા હતા અને જૂના દાગીના તથા પૈસાની ઉઘરાણી કરવા આરોપીની દુકાને ગયા હતા. ત્યાં વિશ્વાસઘાત કરીને તેમની ઘાતકી હત્યા કરવામાં આવી છે. અમારી સરકારને વિનંતી છે કે દોષિતોને કડક સજા થાય. મહિલા સહિત ચાર સામે ગુનોપાલનપુર પશ્ચિમ પોલીસે આ મામલે ચાર મુખ્ય આરોપીઓ રેખાબેન તેજાભાઇ રાઠોડ, તેજાભાઇ દેવાભાઇ રાઠોડ, રોહિત સરતનભાઇ મકવાણા અને વિષ્ણુભાઈ કરશનભાઈ વાલ્મિકી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.પોલીસે હત્યા અને પુરાવાનો નાશ કરવાની કલમો હેઠળ તપાસ તેજ કરી છે અને આરોપીઓની અટકાયત માટે ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 9:29 pm

સુરત મનપામાં કમિશનરનો સપાટો:5 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ માટે હવે કમિશનરની મંજૂરી ફરજિયાત, ઝોન અને વિભાગોની મનમાની પર લાગશે બ્રેક

સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં પારદર્શિતા લાવવા અને આર્થિક શિસ્ત જાળવવા માટે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા એક કડક નિર્ણય લેવામાં આવ્યો છે. પાલિકાના વિવિધ ઝોન અને વિભાગો દ્વારા ચાલતી મનમાની પ્રથાને ડામવા માટે કમિશનરે એક ખાસ પરિપત્ર બહાર પાડ્યો છે. આ નવા આદેશ અનુસાર, હવેથી રુપિયા 5 કરોડ કે તેથી વધુ રકમના કોઈપણ પ્રોજેક્ટ, કામ અથવા કોન્ટ્રાક્ટના વર્ક ઓર્ડર મ્યુનિસિપલ કમિશનરની પૂર્વ મંજૂરી વગર જાહેર કરી શકાશે નહીં. વિભાગના કાર્યપાલક એન્જિનિયરોને સીધા જ એજન્સીઓને વર્ક ઓર્ડર આપી દેતાસુરત પાલિકામાં અત્યાર સુધી ચાલી આવતી સિસ્ટમમાં મોટો ફેરફાર કરતા આ નિર્ણયથી સમગ્ર વહીવટી આલમમાં ચર્ચા જાગી છે. સામાન્ય રીતે, સ્થાયી સમિતિ કે અન્ય ખાસ કમિટીઓ દ્વારા દરખાસ્ત મંજૂર થયા બાદ સંબંધિત ઝોન અથવા વિભાગના કાર્યપાલક એન્જિનિયરોને સીધા જ એજન્સીઓને વર્ક ઓર્ડર આપી દેતા હતા. આ પ્રક્રિયામાં કમિશનરને ઘણીવાર કામ શરૂ થયાની જાણ પણ હોતી નહોતી. હવે આ ડાયરેક્ટ સિસ્ટમ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. વાસ્તવિક સ્થિતિની જાણ ન હોવાને કારણે પ્લાનિંગ અને બજેટમાં ગૂંચવણો સર્જાતીઆ નિર્ણય પાછળના મુખ્ય કારણો તપાસતા કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં સુરત પાલિકાની ચૂંટાયેલી પાંખનો કાર્યકાળ 11 માર્ચે પૂર્ણ થયો છે. આ મુદત પૂરી થવાના છેલ્લા દિવસોમાં ઉતાવળે અનેક ટેન્ડરો, નીતિગત નિર્ણયો અને અંદાજો મંજૂર કરવામાં આવ્યા હતા. વિકાસકામો અટકે નહીં તે માટે કમિશનરની સહી સાથે આ દરખાસ્તો કમિટીઓ સુધી પહોંચાડાઈ હતી. તપાસમાં બહાર આવ્યું કે, કમિટીઓ દ્વારા લેવાયેલા નિર્ણયોની જાણ વહીવટી પાંખ દ્વારા કમિશનરને કરવામાં આવતી નહોતી. કાર્યપાલક ઇજનેરો માત્ર ઠરાવના આધારે સીધા કોન્ટ્રાક્ટરોને કામ સોંપી દેતા હતા. કમિશનરને પ્રોજેક્ટની વાસ્તવિક સ્થિતિની જાણ ન હોવાને કારણે ઘણીવાર પ્લાનિંગ અને બજેટ ફાળવણીમાં ગંભીર ગૂંચવણો સર્જાતી હતી. કમિશનર પ્રોજેક્ટની સમીક્ષા કર્યા બાદ જ લીલી ઝંડી આપશેડેપ્યુટી કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા આ પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કોઈપણ પ્રોજેક્ટ ભલે તે સ્થાયી સમિતિ દ્વારા મંજૂર થયો હોય, પરંતુ જો તેની કિંમત રુપિયા 5 કરોડથી વધુ હોય, તો તેનો વર્ક ઓર્ડર આપતા પહેલા ફાઈલ કમિશનર ટેબલ પર મોકલવી પડશે. કમિશનર પ્રોજેક્ટની જરૂરિયાત, ગુણવત્તા અને નાણાકીય જોગવાઈઓની સમીક્ષા કર્યા બાદ જ લીલી ઝંડી આપશે. ઝોન અને વિભાગીય વડાઓએ હવે દરેક મોટા કામનો રિપોર્ટ સીધો કમિશનર કચેરીમાં જમા કરાવવો પડશે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 9:18 pm

એસ. ટી. મહિલા કંડક્ટરની પ્રમાણિકતા:વેરાવળ ડેપોની ચોરવાડ-જૂનાગઢ રૂટની બસમાં ભૂલાયેલા ₹14 હજાર ભરેલી થેલી મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

​જૂનાગઢ એસ.ટી. ડેપોના એક મહિલા કંડક્ટરે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી મુસાફરના ખોવાયેલા નાણાં પરત કર્યા છે. વેરાવળ ડેપોની ચોરવાડ-જૂનાગઢ રૂટની બસમાં મુસાફરી કરી રહેલા એક વૃદ્ધા ઉતાવળમાં પોતાની રોકડ ભરેલી થેલી ભૂલી ગયા હતા. જોકે, મહિલા કંડક્ટરની સતર્કતા અને નૈતિકતાને કારણે આ રકમ સલામત રીતે તેના માલિક સુધી પહોંચી શકી છે. ​એક વૃદ્ધ મહિલા કેશોદથી જૂનાગઢ આવવા માટે એસ.ટી. બસમાં બેઠા હતા. મુસાફરી દરમિયાન તેમની પાસે અંદાજે ₹13 થી 14 હજારની રોકડ ભરેલી એક થેલી હતી. જૂનાગઢ સ્ટેન્ડ આવતા જ વૃદ્ધા ઉતાવળમાં આ થેલી બસમાં જ ભૂલીને ઉતરી ગયા હતા. બપોરે 3:30 વાગ્યે જ્યારે બસના મહિલા કંડક્ટર જી. બી. ચુડાસમા પોતાની ફરજ પૂરી કરી રહ્યા હતા, ત્યારે તેમની નજર બસની સીટ પર પડેલી આ બિનવારસી થેલી પર પડી હતી. ​કંડક્ટર ચુડાસમા બહેને તાત્કાલિક આ બાબતે જૂનાગઢ સીનિયર ડેપો મેનેજર કરમટાને જાણ કરી હતી. ડેપો મેનેજરની સૂચના મુજબ ATI જી. કે. ગળચર અને વી. કે. ભાદરકાએ આ થેલીના મૂળ માલિકની શોધખોળ શરૂ કરી હતી. તપાસના અંતે મુસાફરના દીકરા યુસુફભાઈ હુસેનભાઈ કચરાનો સંપર્ક થયો હતો. જરૂરી ખરાઈ કર્યા બાદ, ડેપો મેનેજરની ઉપસ્થિતિમાં આ રકમ ભરેલી થેલી તેમને સુપ્રત કરવામાં આવી હતી. ​પોતાની મહેનતની કમાણી પરત મળતા મુસાફરના પરિવારજનોએ મહિલા કંડક્ટર અને એસ.ટી. તંત્રનો આભાર માન્યો હતો. જૂનાગઢ ડેપો મેનેજરે જણાવાયું હતું કે એસ.ટી. કર્મચારીઓએ ફરી એકવાર પોતાની નિષ્ઠા અને પ્રમાણિકતાથી સમાજમાં વહીવટી તંત્રની છબી ઉજળી કરી છે. આ કિસ્સો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે અને લોકો મહિલા કંડક્ટરની કામગીરીને બિરદાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 9:18 pm

પંચમહાલમાં 11 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં ગૃહ વિભાગનો નિર્ણય

પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા 11 પોલીસ ઇન્સ્પેક્ટરોની રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બદલી કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત પહેલાં લેવાયેલો આ નિર્ણય વહીવટી સ્તરે મહત્વપૂર્ણ પરિવર્તન સૂચવે છે. આ 11 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી આ બદલીઓ રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા તેમજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હોવાનું મનાય છે. ગૃહ વિભાગ દ્વારા ચૂંટણી પૂર્વે વહીવટી તંત્રને વધુ સજ્જ અને નિષ્પક્ષ બનાવવાના હેતુસર આવા નિર્ણયો લેવાય છે. વિભાગીય સૂત્રો અનુસાર, બદલીઓના આદેશોનો તાત્કાલિક અમલ કરવા સૂચના આપવામાં આવી છે, જેથી અધિકારીઓ નવી જગ્યાએ સમયસર કામગીરી સંભાળી શકે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 8:54 pm

ભાવનગર મનપાની મિલકત વેરા વસૂલાત માટે આક્રમક ઝુંબેશ:રામનવમીની રજામાં પણ રિકવરી ઝુંબેશ, એક જ દિવસમાં 66 લાખની વસૂલાત, 90 મિલકતો સીલ અને 22 કનેક્શન કપાયા

મિલકત વેરાની બાકી વસૂલાત માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં આજે રામનવમી ની જાહેર રજા હોવા છતાં, મનપાના વિવિધ વિભાગોના 250થી વધુ કર્મચારીઓએ રિકવરી ઝુંબેશમાં જોડાઈને બાકીદારો સામે લાલ આંખ કરી હતી, મનપાની રિકવરી ઝુંબેશ દરમિયાન કુલ 90 મિલકતોને સીલ મારવામાં આવ્યા છે અને 22 મિલકતોના પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે, જાહેર રજાના દિવસે પણ 487 કરદાતાઓએ જાગૃતિ દાખવી કુલ રૂ.66 લાખનો મિલકત વેરો ભરપાઈ કર્યો હતો, આ સાથે જ નાણાકીય વર્ષ 2026-27 ની મનપાની કુલ આવક રૂ.173.55 કરોડ પર પહોંચી છે, નાગરિકોની સુવિધા માટે માર્ચ મહિનાની તમામ જાહેર રજાઓમાં પણ વેરો સ્વીકારવા માટે કેશ બારીઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે, મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ તેજ બનાવવામાં આવશે, તેમજ સીલિંગ કે કનેક્શન કપાત જેવી કડક કાર્યવાહીથી બચવા માટે બાકીદારોને વહેલી તકે પોતાનો વેરો ભરપાઈ કરી દેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 8:49 pm

રાજકોટ-લાલકુઆં વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન:વેકેશનમાં ઉત્તરાખંડ જનારા મુસાફરો માટે પશ્ચિમ રેલવેની મોટી ભેટ, 28 માર્ચથી બુકિંગ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરો માટે ઉનાળાના વેકેશનમાં પ્રવાસનું આયોજન કરવું હવે વધુ સરળ બનશે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રાફિકને ધ્યાને રાખીને રાજકોટ થી લાલકુઆં (ઉત્તરાખંડ) વચ્ચે વિશેષ ભાડા પર 'વીકલી સમર સ્પેશિયલ' ટ્રેન દોડાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન બંને દિશામાં કુલ 8 ટ્રિપ્સ લગાવશે. ટ્રેનનું સમયપત્રક અને ફેરાટ્રેન નંબર 05046 રાજકોટ-લાલકુઆં સમર સ્પેશિયલ રાજકોટથી દર સોમવારે રાત્રે 22.30 કલાકે ઉપડશે અને બુધવારે વહેલી સવારે 05.15 કલાકે લાલકુઆં પહોંચશે. આ સેવા 6 એપ્રિલ થી 27 એપ્રિલ, 2026 સુધી કાર્યરત રહેશે. સામે પક્ષે, ટ્રેન નંબર 05045 લાલકુઆં-રાજકોટ સ્પેશિયલ દર રવિવારે લાલકુઆંથી બપોરે 12.35 કલાકે ઉપડશે અને બીજા દિવસે સાંજે 18.10 કલાકે રાજકોટ પરત ફરશે. આ ટ્રેન 5 એપ્રિલ થી 26 એપ્રિલ, 2026 દરમિયાન દોડશે. રાજસ્થાન અને યુપીના મુખ્ય શહેરોમાં સ્ટોપેજઆ ટ્રેન ગુજરાતના વાંકાનેર, સુરેન્દ્રનગર, મહેસાણા અને પાટણ થઈને રાજસ્થાનના જોધપુર, જયપુર તથા ઉત્તર પ્રદેશના મથુરા, કાસગંજ અને બરેલી જેવા મહત્વના સ્ટેશનો પર રોકાશે. આ લાંબા રૂટ પર મુસાફરોને સેકન્ડ AC, થર્ડ AC, સ્લીપર અને જનરલ ક્લાસની સુવિધા મળી રહેશે. બુકિંગની વિગતોરાજકોટથી ઉપડતી ટ્રેન નંબર 05046 માટેનું બુકિંગ 28 માર્ચ, 2026 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC ની વેબસાઇટ પર શરૂ થશે. મુસાફરો સમયપત્રકની વધુ વિગત માટે રેલવેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 8:11 pm

ગોધરામાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ:શહેર 'જય શ્રી રામ'ના નાદથી ગુંજી ઉઠ્યું, પરંપરાગત વાદ્યો અને સાંસ્કૃતિક ટેબ્લો આકર્ષણ રહ્યાં

આજે ગોધરા શહેરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ 'રામનવમી' નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શહેર 'જય શ્રી રામ'ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત સહમંત્રી હિમેશભાઈ પરીખના માર્ગદર્શન હેઠળ આયોજિત આ શોભાયાત્રામાં હિન્દુ સમાજના તમામ વર્ગના લોકો અને ભારતીય જનતા પાર્ટી ગોધરાના પદાધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ પરંપરાગત વાદ્યો અને સાંસ્કૃતિક ટેબ્લો રહ્યા હતા. નાસિક ઢોલ અને પુણેરી ઢોલના તાલે યુવાનો અને ભક્તો ઉત્સાહભેર ઝૂમ્યા હતા. ભગવાન શ્રી રામ દરબારના સુંદર ટેબ્લો તેમજ 'બાહુબલી હનુમાનજી'ની વિશેષ પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉત્સવમાં અબાલ-વૃદ્ધ સૌ કોઈ ઉત્સાહભેર જોડાયા હતા, જે સમાજની એકતાનું પ્રતિક પૂરું પાડતું હતું. આ પ્રસંગે હિમેશભાઈ પરીખે શોભાયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ અને કાર્યક્રમને સફળ બનાવનાર કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવી યાત્રાઓ સમાજમાં ભક્તિ અને સંવાદિતાનો સંદેશ ફેલાવે છે. ગોધરાના રાજમાર્ગો પરથી પસાર થયેલી આ યાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ મહોત્સવ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 8:10 pm

લાખો નાગરિકોને મળશે શુદ્ધ પાણીની ભેંટ:મનપા દ્વારા ન્યારા ખાતે 37.49 કરોડના ખર્ચે હાઈટેક 50 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ, ટેન્ડર જાહેર કરવામાં આવ્યા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારના રહેવાસીઓ માટે પાણી વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. જેમાં શહેરમાં જળ વ્યવસ્થાપનને વેગ આપવા માટે ન્યારા ગામ પાસે 37.49 કરોડના અંદાજિત ખર્ચે 50 MLDની ક્ષમતા ધરાવતો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) સ્થાપવાની યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે. આ અંગેના ટેન્ડર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાની સાથે જ શહેરના માધાપર, ઘંટેશ્વર અને રેલનગર જેવા વિસ્તારોની અંદાજે 100,000થી વધુ વસતીને શુદ્ધ પાણીની ભેટ મળશે. રૈયાધાર ખાતે પાણી શુદ્ધ થયા બાદ પંપ કરીને ઘંટેશ્વર અને ન્યારા ઓફટેક તરફ લાવવામાં આવે હાલની સ્થિતિમાં રાજકોટના આ વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેની પ્રક્રિયા ઘણી લાંબી અને ખર્ચાળ છે. 'સૌની યોજના' અંતર્ગત મળતું કાચું પાણી સૌપ્રથમ ન્યારા ઓફટેક ખાતે લાવવામાં આવે છે પરંતુ, ત્યાં શુદ્ધિકરણની સુવિધા ન હોવાને કારણે આ પાણીને પાઈપલાઈન દ્વારા રૈયાધાર સ્થિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે. રૈયાધાર ખાતે પાણી શુદ્ધ થયા બાદ, તેને ફરીથી પંપ કરીને ઘંટેશ્વર અને ન્યારા ઓફટેક તરફ લાવવામાં આવે છે, જ્યાંથી સ્થાનિક સ્તરે વિતરણ કરવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા ન્યારા ખાતે જ ફિલ્ટરેશન પ્લાન્ટ બનાવવાનું આયોજન કરાયું આ પ્રક્રિયામાં માત્ર સમયનો જ વ્યય નથી થતો પરંતુ, વીજળી અને પરિવહન પાછળ પણ મોટો ખર્ચ થાય છે. વળી, લાંબી પાઈપલાઈન પ્રક્રિયામાં પાણીના જથ્થામાં ઘટાડો થવાની સંભાવના પણ રહેતી હોય છે. આ બધી 'કડાકૂટ' તેમજ ટેકનિકલ સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ન્યારા ખાતે જ ફિલ્ટરેશન પ્લાન્ટ બનાવવાનું આયોજન કરાયું છે. નવો પ્લાન્ટ કાર્યરત થતા જ કાચું પાણી સીધું ન્યારા ખાતે જ ફિલ્ટર થઈ જશે અને ત્યાંથી જ સીધું વિતરણ શરૂ કરી શકાશે. રેલનગર - માધાપર જેવા વિસ્તારો જે ઝડપથી વિકસી રહ્યા આ હાઈટેક ફિલ્ટરેશન પ્લાન્ટ આધુનિક ટેકનોલોજીથી સજ્જ હશે, જે પાણીની શુદ્ધતામાં અનેકગણો વધારો કરશે. 50 MLDની ક્ષમતા આસપાસના વધતા જતા રહેણાંક વિસ્તારોની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે પૂરતી માનવામાં આવી રહી છે. ખાસ કરીને રેલનગર - માધાપર જેવા વિસ્તારો જે ઝડપથી વિકસી રહ્યા છે, ત્યાં ઉનાળા દરમિયાન સર્જાતી પાણીની અછત અથવા લો-પ્રેશરની સમસ્યામાં આ પ્રોજેક્ટથી રાહત મળશે. નવા પ્લાન્ટના ફાયદાઓવીજળીની બચત: પાણીને રૈયાધાર સુધી ધકેલવા અને ત્યાંથી પાછું લાવવા માટે થતા પંપીંગ ખર્ચમાં ધરખમ ઘટાડો થશે.સમયસર વિતરણ: પાણી શુદ્ધિકરણ સ્થાનિક સ્તરે થવાથી વિતરણના સમયપત્રકમાં વધુ ચોકસાઈ આવશે.શ્રેષ્ઠ ગુણવત્તા: આધુનિક ટ્રીટમેન્ટ પ્રોસેસ દ્વારા નાગરિકોને પીવાનું વધુ સુરક્ષિત અને ચોખ્ખું પાણી મળશે. 37.49 કરોડનો આ પ્રોજેક્ટ ઉત્તર-પશ્ચિમ ઝોનના વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશેરાજકોટ મનપા દ્વારા એકતરફ ન્યારા ખાતે 50 MLDના પ્લાન્ટ માટે ટેન્ડર બહાર પડ્યા છે, બીજી તરફ શનિવારે મુખ્યમંત્રીના હસ્તે ન્યારી ડેમ પાસે રૂ. 143 કરોડના ખર્ચે બનનારા સૌરાષ્ટ્રના સૌથી મોટા 150 MLD ના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. આમ મ્યુ. કોર્પોરેશન તંત્ર દ્વારા આગામી 25 વર્ષની વસતી અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને માળખાગત સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે. ન્યારા ઓફટેક પાસેનો રૂ. 37.49 કરોડનો આ પ્રોજેક્ટ રાજકોટના ઉત્તર-પશ્ચિમ ઝોનના વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિર્ધારિત સમયમર્યાદામાં આ પ્લાન્ટનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 8:02 pm

સુપરવાઈઝરનું ફિલ્મી ઢબે અપહરણ:પગાર બાકી હોવાથી કર્મચારીઓએ અપહરણ કરી માર માર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા

શહેરના નવરંગપુરામાં આવેલી હાઉસ કીપિંગ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને પગાર ન મળતા ફિલ્ડ સુપરવાઈઝરનું અપહરણ કર્યું હતું. કર્મચારીઓ ફિલ્મી ઢબે ગાડીમાં અપહરણ કરીને સુપરવાઈઝરને અલગ-અલગ સ્થળે લઈ જઈને ઢોર માર માર્યો હતો. આરોપીઓએ માફી મંગાવતો વીડિયો પણ વાયરલ કર્યો હતો. વાડજ પોલીસે આ મામલે ગુનો નોંધી બે સગીર સહિત સાત આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ ફિલ્ડ ઓફિસરને લાકડીઓ અને પટ્ટા વડે બેરહેમીથી માર માર્યો હતોનવરંગપુરામાં આવેલી હાઉસ કીપિંગ કંપનીમાં ફિલ્ડ ઓફિસર તરીકે રાજ બારોટ કામ કરતો હતો.રાજે તેના બે મિત્રોને પણ નોકરીએ રખાવ્યા હતા પરંતુ, તેમનો પગાર બાકી હોવાથી અવારનવાર વિવાદ સર્જાતો હતો. 24મી માર્ચે સાંજે રાજ બારોટ ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેને ફોન કરીને શખ્સોએ ભીમજીપુરા બોલાવ્યો હતો. આ શખસોએ રાજને રસ્તા વચ્ચે આંતરીને ઢોર માર મારીને ગાડીમાં બેસાડી દીધો હતો. ત્યારબાદ તેને ચાંદલોડિયા રેલવે સ્ટેશન પાસેની ખુલ્લી જગ્યામાં લઈ જઈને અન્ય મિત્રોને પણ બોલાવ્યા હતા. ત્યાં આરોપીઓએ ફિલ્ડ ઓફિસરને લાકડીઓ અને પટ્ટા વડે બેરહેમીથી માર માર્યો હતો. પીડિત પાસે માફી મંગાવતો વીડિયો સો.મીડિયામાં વાયરલ કર્યોઆરોપીઓએ પીડિત પાસે માફી મંગાવતો વીડિયો શૂટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરીને દાદાગીરી બતાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે વાડજ પોલીસને જાણ થતાં પોલીસે અપહરણ અને રાયોટિંગ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વિશાલ વાણીયા, નયન સાગડીયા, પિન્ટુ મકવાણા, હર્ષ મોભ, મિહીર મોભ તથા બે સગીર સહિત સાતેય આરોપીની ધરપકડ કરી છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 8:02 pm

શાંતિ એશિયાટિક સ્કૂલમાં 'બેગ ફ્રી ડે'નું આયોજન:ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ ડાન્સ, મનોરંજન સાથે તણાવમુક્ત દિવસ માણ્યો

અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલ દ્વારા તાજેતરમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે 'બેગ ફ્રી ડે'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે વિદ્યાર્થીઓને પુસ્તકોના ભાર વિના શાળાએ આવવાની તક મળી હતી. આ ખાસ દિવસે વિદ્યાર્થીઓએ વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. તેમણે ડાન્સ ટીચર્સ પાસેથી ડાન્સના નવા સ્ટેપ્સ શીખ્યા હતા. શૈક્ષણિક પ્રવૃત્તિઓથી અલગ, વિદ્યાર્થીઓએ પોતાની કળા પ્રદર્શિત કરવા માટે 'ઇન્ટર હાઉસ ફ્રેન્ડલી ડાન્સ કોમ્પિટિશન'માં પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તણાવમુક્ત વાતાવરણ પૂરું પાડી, તેમની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો હતો. સમગ્ર દિવસ દરમિયાન વિદ્યાર્થીઓએ મિત્રો સાથે આનંદ અને ડાન્સ પ્રવૃત્તિઓનો ભરપૂર લાભ લીધો હતો. શાંતિ એશિયાટિક સ્કૂલનો આ પ્રયાસ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 7:56 pm

ચૈત્રી નવરાત્રિ આઠમ, રામ નવમીની ઉજવણી:શ્રી સુરતી કંસારા શુભેચ્છક મંડળ દ્વારા માતાજીને વિશેષ શ્રૃંગાર

ચૈત્રી સુદ આઠમ અને રામ નવમી નિમિત્તે શ્રી સુરતી કંસારા શુભેચ્છક મંડળ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે માતાજીને ફૂલોનો શ્રૃંગાર કરાયો અને શ્રી રામચંદ્ર ભગવાનનો જન્મોત્સવ મનાવાયો. સવારે આઠમના પવિત્ર દિવસે મહાકાળી માતાજી અને રણછોડરાયજીને ગુલાબના પુષ્પોના વાઘાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. બપોરે 12 કલાકે શ્રી રામચંદ્ર ભગવાનના જન્મોત્સવ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આરતીનું પણ આયોજન કરાયું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં સમાજના સભ્યો અને જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ માતાજીની પૂજા-આરાધના કરી અને સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 7:55 pm

Editor's View: અલ્યા ભાઈ! તમે આવા કાં?:7 મુદ્દાથી સમજો કેવી રીતે ખૂંખાર બન્યા? ભત્રીજીએ કાળો ચિઠ્ઠો કાઢ્યો, આત્મશ્લાઘાની બીમારી ને પુતીન-જોંગથી એટ્રેક્શન

ન્યૂયોર્કની કડકડતી ઠંડી અને ક્વીન્સના એક આલીશાન બંગલોમાંથી એક ક્રુર આદેશ ગુંજ્યો, દુનિયામાં કાં તો તમે કિલર છો, કાં તો લૂઝર. આ આદેશ આપ્યો હતો ફ્રેડ ટ્રમ્પે અને સાંભળનાર હતા દુનિયાના હાલના સૌથી શક્તિશાળી નેતા અને હાલના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ. આ વાત દાયકાઓ પહેલા શીખવાડવામાં આવી હતી તે ટ્રમ્પ આજે વ્હાઈટ હાઉસમાં બેસે છે. ટ્રમ્પના બેફામ નિર્ણયો અને અણધાર્યો વ્યવહાર જોઈને બધાને મનમાં એક સવાલ થાય કે, આ માણસ આટલો કૃર અને વિચિત્ર કેમ છે? પોતાની જ ભત્રીજી મેરી ટ્રમ્પના ડોક્યુમેન્ટ્સથી માંડીને બોબ વુડવર્ડના સનસનીખેજ ખુલાસાઓ સીધી અને મેગી હેબરમેનની ડાયરીથી માંડીને ન્યૂયોર્કના ફ્રોડ કેસના કાગળિયાઓ સુધી દરેક પાનું અત્યારે એ જ સત્યની ચીસ પાડીને તેના જવાબ આપે છે. આજે આપણે અમેરિકાના રાષ્ટ્રપતિની વાત કરવાના છીએ જેના માટે વાસ્તવિકતા કોઈ માયને નથી રાખતી, તેમને જોઈએ છે પબ્લિસિટી અને વર્ચસ્વ. 1980ના દાયકાનો એ આક્રામક રિયલ એસ્ટેટ ટાયકૂન અને 2026નો વેરની રાજનીતિ કરનાર નેતા કેવી રીતે અલગ છે અને તેમાં શું હજું પણ એવું ને એવું જ છે? આજે આપણે તેની વાત કરીશું. માત્ર આટલું જ નહીં આજે આપણે એ બધા જ પડદા પાછળના રાઝ હટાવીશું કે ડોનાલ્ડ ટ્રમ્પ કેમ આટલા બધા નાર્સિસિસ્ટ છે, કેમ બેફામ નિર્ણયો લઈ દુનિયા ધુણાવે છે અને તેનામાં જીતવાની આવી ઘેલછા ક્યાંથી જન્મી છે? નમસ્કાર.... અમેરિકાએ પોતાના ઈતિહાસમાં અત્યાર સુધી અલગ અલગ 45 રાષ્ટ્રપતિઓ જોયા પણ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા રાષ્ટ્રપતિ ક્યારેય નહીં જોયો હોય. તેમને મહાન માનવાવાળો પણ વર્ગ છે અને અમેરિકાની લોકશાહી માટે ખતરો માનવાવાળો પણ વર્ગ છે. ટ્રમ્પના પરિવારમાં વિક્ટ્રીનો જ સિક્કો ચાલતો તેમને સમજવા માટે આપણે તેમના પિતા ફ્રેડ ટ્રમ્પને સમજવા બહુ જરૂરી બની જાય છે. મેરી ટ્રમ્પ જે ટ્રમ્પના ભત્રીજી છે અને ક્લિનિકલ સાયકોલોજિસ્ટ પણ છે તે પોતાના પુસ્તક ટુ મચ એન્ડ નેવર ઈનફમાં લખે છે કે, “ટ્રમ્પ પરિવારના ઘરમાં પ્રેમ જેવી કોઈ વસ્તુની કોઈ કિંમત નથી. ત્યાં માત્ર એક જ સિક્કો ચાલે છે વિક્ટ્રી” ‘વિનર vs લૂઝર’ ફિલોસોફી ફ્રેડ પોતે એક ટફ રિયલ એસ્ટેટ ડેવલોપર હતા. તેમણે પોતાના સંતાનોના મગજમાં એક વાત બરોબરની ફીટ કરી દીધી હતી કે દુનિયામાં બે જ પ્રકારના લોકો છે વિનર્સ અને લુઝર્સ. તેમના મતે જો તમારે દુનિયામાં સફળ થવું હોય તો તમારે કિલર બનવું પડે એટલે કે જેમાં દયા, સહાનુભૂતિ કે નમ્રતા છે તે નબળો માણસ છે. ભાઈના મૃત્યુથી મળેલો કડવો પાઠ ડોનાલ્ડ ટ્રમ્પના મોટા ભાઈ ફ્રેડ જુનિયર ટ્રમ્પ પણ સ્વભાવે સોફ્ટ હતા. તેઓ પાયલટ બનવા માગતા હતા પણ તેમના પિતાને આ સોફ્ટનેસ મંજૂર નહોતી. તેમણે ફ્રેડને એટલા અપમાનિત કર્યા કે તે એલ્કોહોલિઝમના શિકાર બન્યા અને ખાલી 42 વર્ષની ઉંમરે દુનિયા છોડી જતા રહ્યા. ડોનાલ્ડ ટ્રમ્પે આ બધું પોતાની નજરે જોયું. તેમણે સમજી લીધું કે બાપની નજરમાં હિરો બનવું હોય તો તેના ભાઈ જેવું નથી થવાનું અને કડક બનવું પડશે. જો આવું કરવું હોય તો કઠોર બનવું પડશે. જેના કારણે તેણે પોતાની અંદરની લાગણીઓનો જ બલિ ચઢાવી દીધો. પિતાની કિલર એટલે કે વિનર બનવાની વિચારધારાને ટ્રમ્પે જીવન બનાવી લીધું. માતાની ગેરહાજરીનો અસર પરંતુ વાત માત્ર પિતાના પ્રભાવ સુધી મર્યાદિત નથી. ડોનાલ્ડના જીવનમાં જે એક મોટી ખોટ રહી ગઈ, તે હતી માતૃત્વની હૂંફ. ડોનાલ્ડના જીવનમાં માનો કોઈ રોલ નથી રહ્યો કારણ કે ડોનાલ્ડ જ્યારે અઢી વર્ષના જ હતા ત્યારે તેમની માતા મેરી એની મેકલોડ ગંભીર બિમારીઓનો શિકાર બન્યા. સાયકોલોજિસ્ટ માને છે કે જ્યારે ડોનાલ્ડના જીવનમાં માતાની હાજરી હોવી જોઈતી હતી તે નહોતી. જેના કારણે ડોનાલ્ડમાં એમ્પથીનો એ પણ ન આવ્યો. મેરી ટ્રમ્પના ખુલાસા મેરી ટ્રમ્પના એ શબ્દો આજે પણ અમેરિકાના રાજકીય ગલિયારાઓમાં ગુંજે છે, જેમાં તેઓ દાવો કરે છે કે ટ્રમ્પ પરિવારમાં પ્રેમ એ કોઈ લાગણી નહીં, પણ એક કમજોરી ગણવામાં આવતી હતી. મેરી લખે છે કે, “ડોનાલ્ડને ક્યારેય એવું માતૃત્વનું પોષણ મળ્યું નહીં જે ભાવનાત્મક સ્થિરતા આપે. પિતા ડરામણા હતા અને માતા ગેરહાજર. જેના કારણે ડોનાલ્ડ એવા બાળક બનીને મોટા થયા જેમને સતત બીજાનું ધ્યાન ખેંચવાની અને બીજાની પ્રશંશાની ભૂખ હોય. એટલા માટે જ આજે પણ ટ્રમ્પ સ્ટેજ પર હોય ત્યારે તેમની એંદર એ જ નાનું બાળક દેખાય છે જે દુનિયાને કહી રહ્યું છે કે મને જુઓ હું કેટલો મહાન છું. ” ટ્રમ્પને ઘડનાર 7 કારણો મેરી ટ્રમ્પ મુજબ 7 એવી ઘટનાઓની વાત કરીએ જેણે ટ્રમ્પને ટ્રમ્પ બનાવ્યા મિલિટરી સ્કૂલનો કડક પ્રભાવ ડોનાલ્ડનો તોફાની સ્વભાવ જોઈને તેમના પિતાએ 13 વર્ષની ઉંમરે જ તેમને ન્યૂયોર્કની મિલિટરી એકેડમીમાં મોકલી દીધા. ડોનાલ્ડ જ્યારે ક્વીન્સના આલીશાન બંગલાનો ત્યાગ કરી ન્યૂયોર્ક મિલિટરી એકેડમી NYMA પહોંચ્યા, ત્યારે માહોલમાં ઠંડી સાથે એક અજીબ સન્નાટો હતો. એ મિલિટરી યુનિફોર્મ માત્ર કપડાં નહોતા, પણ એક કઠોર પિતા દ્વારા આપવામાં આવેલી દેશનિકાલ જેવી સજા હતી. ત્યાંની પથ્થર જેવી શિસ્તમાં ડોનાલ્ડે ભાવનાઓનો ત્યાગ કરી, સત્તાના જોરે બીજાને કેવી રીતે નમાવવા તે કળા આત્મસાત કરી લીધી. ડરથી શાસન શીખ્યો ટ્રમ્પે ટ્રમ્પના NYMAના ક્લાસમેટનું કહેવું છે કે ડોનાલ્ડ ત્યાં આયરન ફિસ્ટથી શાસન કરતા હતા. તેમણે શીખ્યું કે લીડરશીપ એટલે લોકપ્રિયતા નહીં, પણ બીજાને ડરાવીને પોતાની વાત મનાવવી. ડોનાલ્ડના મેન્ટોર કોલોનલ થિયોડોર ડોબિયાસ હતા. જેઓ ખૂબ જ સ્ટ્રિક્ટ સ્વભાવના માણસ હતા. ટ્રમ્પે તેમની પાસેથી શીખ્યું કે જે સત્તામાં છે, તે નિયમો બનાવી શકે પણ શકે છે અને તોડી પણ શકે છે. ખુંખાર વકીલ રાય કોહનનો પ્રભાવ ત્યાર બાદ 1970ના ગાળામાં જ્યારે ડોનાલ્ડ ન્યૂયોર્કના રિયલ એસ્ટેટ માર્કેટમાં ઉતર્યા ત્યારે તેમની મુલાકાત એક એવા વકીલ સાથે થઈ જેણે તેમનું જીવન બદલી નાખ્યું. નામ હતું રાય કોહન. એ ટ્રમ્પના રાજકીય ગુરુ હતા. તે કોઈ સાદા સિમ્પલ વકીલ ન હતા પણ ખૂબ જ ખુંખાર અને કુખ્યાત મિજાજના વકીલ હતા. મહાન અમેરિકન વકીલ મેકકાર્થી યુગના આ કુખ્યાત શખ્સ કોહને ટ્રમ્પને શિખવાડ્યું કે કાયદો ન્યાય માટે નહીં, પણ દુશ્મનને ધૂળ ચટાડવા માટેનું હથિયાર છે. 1973માં જ્યારે ટ્રમ્પ પર ભેદભાવના ગંભીર આરોપો લાગ્યા, ત્યારે કોહને ગુરુમંત્ર આપ્યો કે, “ક્યારેય માફી ન માગવી, પણ સામો એટલો મોટો વળતો પ્રહાર કરવો કે સરકાર પોતે ડરીને બેકફૂટ પર આવી જાય.” કેસને હથિયાર બનાવવાની નીતિ 1973માં ટ્રમ્પ પર બ્લેક ભાડૂતો સાથે ભેદભાવ કરવાનો આરોપ લાગ્યો હતો ત્યારે કોહને જ ટ્રમ્પને શીખવ્યું હતું કે માફી ન માગવી પણ સરકાર સામે જ મુકદ્દમો ઠોકી દેવો. આ જ ટ્રમ્પની ફિલોસોફીની તાકાત બની. ટીવી શૉથી બનાવી ઈમેજ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઈટ હાઉસ પહોંચવા માટે તેમનો રિયાલિટી શો ધ એપ્રેન્ટીસ બહુ કામ લાગ્યો. મેગી હેબરમેન તેમના પુસ્તક કોન્ફિડેન્સ મેનમાં લખે છે કે, આ શો એ ટ્રમ્પની એક એવી છબી બનાવી જે હકિકતમાં હતી જ નહીં. નકલી ઈમેજથી રાજનીતિમાં કૂદવું આ શોમાં ટ્રમ્પને એક ખૂબ જ સફળ, ડિસિપ્લિન્ડ અને કઠોર અબજોપતિ તરીકે બતાવવામાં આવ્યા. જ્યારે હકીતમાં ટ્રમ્પની અનેક કેસિનો અને હોટલ દેવાળિયું ફૂંકી રહી હતી. શોના પ્રોડ્યુસર્સે છેલ્લે માન્યું કે તેણે પોતાના નિવેદનો સુધારીને પોતાને જીનિયસ બોસ તરીકે રજૂ કર્યાં. અમેરિકન્સે ટ્રમ્પની નકલી છબીને અસલી માની અને ટ્રમ્પના પોલિટિકલ કરિયરની ગાડી ચાલી પડી. પોતાને કેમ સ્પેશિયલ માને છે? સાયકોલોજિસ્ટે ટ્રમ્પના કેરેક્ટરને મિલોન ઈન્વેન્ટરી ઑફ ડાયગ્નોસ્ટિક ક્રાઈટેરિયા તરીકે ગણાવ્યું. આ લાંબા લચકા શબ્દનો અર્થ થાય છે. આવો માણસ પોતાની જાતને ખૂબ જ સ્પેશિયલ માને છે અને એવું માને છે કે દુનિયા તેમને સલામ કરે છે. તેમને બીજાને ઑર્ડર આપવો ખૂબ ગમે છે. તે હંમેશા લોકોનું પોતાની તરફ ધ્યાન ખેંચવા માગે છે. ટ્રમ્પને આત્મશ્લાઘાની બીમારી? પણ આની પાછળ એક કિલર એંગલ છે જેને સાયકોલોજિકલ એક્સપર્ટ્સ મેલિગ્નન્ટ નાર્સિસિઝમ કહે છે. આ એવા લોકો હોય છે જેમને બીજાના દુખથી કોઈ ફરક નથી પડતો અને તેઓ પોતાના ઈગોને સંતોષવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. 2026માં યુક્રેન વિવાદ હોય કે ઈરાન પરના તેમના તદ્દન વિરોધાભાસી નિવેદનો, ટ્રમ્પ માટે દરેક ક્ષણ એક ઈન્ડિપેન્ડેન્ટ યુદ્ધ છે. જો જૂની વાત તેમના પ્રેઝેન્ટ વિક્ટ્રીને નડતી હોય, તો તેઓ તેને પસ્તીની જેમ ફેંકી દેવામાં જરાય અચકાતા નથી, કારણ કે તેમના માટે સત્ય ક્ષણભંગુર છે. રાઈટ નાવમાં જીવતા ટ્રમ્પ જ્યારે ફેમસ સાયકોલોજિસ્ટ ડેન પી. મેકએડમ્સે ટ્રમ્પના કેરેક્ટર અને હાવભાવની સ્ટડી કરી તો તેમને એક ખૂબ જ અજીબ વાત નજરે પડી. સામાન્ય રીતે લોકો પોતાની લાઈફને એક સ્ટોરી તરીકે જુએ છે. જેમાં તેઓ ભૂતકાળની ભૂલોમાંથી શીખતા હોય છે અને તેના પછી ભવિષ્યનું પ્લાનિંગ કરતા હોય છે પણ ટ્રમ્પ માટે આવું કંઈ જોવા ન મળ્યું. ટ્રમ્પ રાઈટ નાવમાં જીવે છે. ટ્રમ્પ માટે જીવન ગેમ ઑફ થ્રોન્સ જેવું ટ્રમ્પની નજરે જીવન એક અલગ અલગ એપિસોડ્સ કે ગેમ ઓફ થ્રોન્સ જેવી સિરિઝ છે. ટૂંકમાં ટ્રમ્પ એવા માણસ છે કે એકવાર તે ખોટું બોલે છે તો બીજીવાર તે તેની એકદમ ઓપોઝિટ વાત કરે છે, જેનો તેને કોઈ પછતાવો પણ નથી હોતો કારણ કે તેમના માટે બંને સમય અલગ અને ઈન્ડિપેન્ડેન્ટ છે. માટે જ આવા લોકો ક્યારેય પોતાની ભૂલો સ્વીકારી શકતા નથી અને તેમાંથી શીખી પણ નથી શકતા. તેમના માટે સાચું એ જ છે જે તેમને જીતવા માટે કે આગળ વધારવા માટે મદદ કરે છે. રાષ્ટ્રપતિ પદે 30 હજાર જુઠ્ઠાણા ટ્રમ્પે જ્યારે રાષ્ટ્રપતિ પદે પોતાનું એક વર્ષ પૂરું કર્યું ત્યારે વોશિંગ્ટન પોસ્ટની ફેક્ટ ચેક ટીમે એક ડોક્યુમેન્ટ તૈયાર કર્યું હતું. જેના મુજબ ટ્રમ્પે પોતાના પહેલા રાષ્ટ્રપતિ ટર્મમાં 30 હજારથી વધુ ખોટા, પાયાવિહોણા અને ભ્રામક દાવા કર્યા હતા. સત્ય કરતાં જીત મહત્વની સાયકોલોજિસ્ટ આને ઈલ્યુઝનરી ટ્રુથ ઈફેક્ટ કહે છે. ટૂંકમાં જો તમે એક ને એક ખોટી વાત 100વાર કહો છો તો લોકો તેને સાચું માનવા લાગે છે. ટ્રમ્પ માટે ફેક ન્યૂઝ એ શબ્દ નથી પણ વેપન છે. જે ઈન્ફોર્મેશનમાં તેમને મજા આવે તે જ માનવી અને ન મજા આવે તેને નકારી દેવી. અને તેના જ બેઝ પર એક બેઝલેસ રિયાલિટી ઉભી કરવી. જેમાં તેમની માસ્ટરી છે. ટ્રમ્પની પોલિટિક્સ જોઈએ તો તેમાં એક વસ્તુ નજરે પડે છે. તે પોતાના વિરોધીઓના હુલામણા નામો પાડે છે. ટ્રમ્પ એકવાત બખૂબી જાણે છે કે લોકો લાંબા ભાષણો વહેલા ભૂલી જાય છે પણ આવા નિકનેમ્સ ક્યારેય નથી ભૂલી શકવાના. આ કોઈના કેરેક્ટર પર એક સાયકોલોજિકલ એટેક છે. એક હાથ સે દો, એક હાથ સે લો ઘણા ઈન્ટરનેશનલ રિલેશન્સના જાણકાર લોકો માને છે કે ટ્રમ્પની વિદેશ નીતિ લેવળ દેવળ વાળી છે. એક હાથથી દો અને બીજા હાથથી લો. ટ્રમ્પ પોતાના જેવા સ્ટ્રોંગ લોકો એટલે કે પુતિન અને કિમ જોંગ ઉન માટે એક અલગ પ્રકારનું એટ્રેક્શન મહેસૂસ કરે છે. કારણ કે ટ્રમ્પ પોતાને તેના જેવા જ લીડર તરીકે જુએ છે. વિદેશનીતિના પાયા હલાવ્યા ટ્રમ્પને નૈતિક દુનિયામાં જીવવું નથી ગમતું કારણ કે તેમણે જ યુનાઈટેડ નેશન્સ અને નાટો જેવા સંગઠનોને નજીવા અને નમાલા ગણાવી દીધા છે. તેમના મતે આવા પ્લેટફોર્મ્સ એક સોદો છે. જો તમે પૈસા નહીં આપો તો અમે તમને રક્ષણ નહીં આપીએ. આમાં તમને નિર્ણય લેનારમાં નેતા અને વેપારી બંને નજરે પડશે. જેના જ કારણે અમેરિકાની દાયકાઓ જૂની વિદેશ નીતિના પાયા હલી ગયા છે. હવે ટ્રમ્પના વ્યક્તિત્વના કારણે રાષ્ટ્રપતિ જેવા સન્માનિત પદ પર લેવાયેલા નિર્ણયોની પણ વાત કરીએ જેણે દુનિયાને હચમચાવી નાખી. ટગ ફિલિંગથી અતિ આત્મવિશ્વાસ મનોવૈજ્ઞાનિકો માને છે કે આ જ ગટ ફિલિંગ પર અતિશય વિશ્વાસ અને એક્સપર્ટ્સની સલાહોને ન માનવાના કારણે ટ્રમ્પે પોતાના નિર્ણયોના કારણે દુનિયા ધુણાવી છે. કારણ કે ટ્રમ્પ તેમને દુનિયાના સૌથી બુદ્ધિશાળી માણસ ગણે છે. ડીલ મેકર ઈમેજ ધ આર્ટ ઓફ ધ ડીલ નામના પુસ્તકમાં ટ્રમ્પે પોતાને ડિલ મેકર ગણાવ્યા છે. ટ્રમ્પ પોતાને આ પુસ્તકના લેખક ગણાવે છે પણ કહેવાય છે કે ખરેખર આ પુસ્તક ટોની શ્વાર્ટઝે લખ્યું હતું. જેને 2016ના એક ઈન્ટરવ્યૂમાં મોટો ધડાકો કર્યો હતો. તેમણે લખ્યું કે, “મને પસ્તાવો છે કે મેં ટ્રમ્પની છબી આટલી ભવ્ય બનાવી. હકીકતમાં તેઓ એક સોશિયોપેથ છે જેમને માત્ર પોતાની જ પડી છે.” ટ્રમ્પને પોતાની વાહવાહી જ ગમે છેઃ ટોની શ્વાર્ટઝ ટોનીનું કહેવું છે કે ટ્રમ્પ ક્યારેય એકાગ્રતાથી વાંચી નથી શકતા, તે હંમેશા અન સ્ટેબલ હોય છે અને તેમને હંમેશા પોતાની વાહવાહી ગમે છે. તેમણે કહ્યું હતું કે આ પુસ્તક ફરી લખવાનું કહેવામાં આવે તો તેનું હેડિંગ ધ સોશિયોપેથ હશે. પિતાની નજરમાં લૂઝર નહોતું બનવું ન્યૂયોર્કના કોર્ટના ધૂળ ખાતા દસ્તાવેજો પર નજર કરીએ તો ટ્રમ્પે વર્ષો સુધી પોતાની સંપત્તિના ખોટા વેલ્યુએશન જ કર્યા છે એવું જણાય છે. કેમ? ખાલી ટેક્સથી બચવા નહીં પણ પોતાની જાતને અસલી સંપત્તિ કરતા વધુ અમીર બતાવવા માટે. આ એક સાયકોલોજીકલ નીડ હતી. તેમને એવું લાગતું હતું કે જો તેઓ અબજોપતિ નહીં દેખાય તો તે પોતાના પિતાની નજરમાં વિનર નહીં પણ લૂઝર સાબિત થશે. રાષ્ટ્રપતિ પદે બેજવાબદાર નિર્ણયોથી દુનિયા ધૂણાવી વિખ્યાત પત્રકાર બોબ વુડવર્ડના પુસ્તકો ફિયર અને રેજમાં ટ્રમ્પના એવા 7 કિસ્સાઓ છે જે દુનિયાને હચમચાવી નાખે છે… ટ્રમ્પ નિર્સિસિઝમથી પીડિત? એક શબ્દ છે નાર્સિસિસ્ટ જેનો ગુજરાતીમાં અર્થ થાય છે આત્મશ્લાઘા, સાવ સાદી રીતે સમજીએ પોતાની જાતને જ પ્રેમ કરવો અને મહાન માનવું. ટ્રમ્પની ભત્રીજી મુજબ ટ્રમ્પ નાર્સિસિઝમના 7 પાયાઓ પર ખરા ઉતરે છે ઉછેર અને સાયકોલોજીનો પ્રભાવ પણ આપણે 1980ના દાયકાના ડોનાલ્ડ ટ્રમ્પ અને અત્યારને ટ્રમ્પને કમ્પેર કરીએ તો ત્યારે તે એક સેલ્ફ પ્રોમોટર બિઝનેસમેન હતા જેમને ન્યૂયોર્કની હાઈ સોસાયટીમાં જગ્યા જોઈતી હતી. પણ હાલના ટ્રમ્પ અલગ છે. આજે તેમની પાસે રાજકીય સત્તા છે અને તેમની લડાઈ હવે પોપ્યુલારિટી માટે નહીં પણ બદલા માટે છે એવું એક્સપર્ટ્સનું માનવું છે. વિજય vs સત્ય પણ ત્યારના અને અત્યારના ટ્રમ્પમાં કોમન વાત છે તેમનો અહંકાર, તેમની બોલવાની રીત અને નિયમો તોડવાની વૃત્તિ. પહેલા તેમની અનસ્ટેબિલિટીની અસર ખાલી અમેરિકાને કે ન્યૂયોર્કને પડતી હતી પણ હવે આખી દુનિયાને પડે છે. બાળપણની તોફાની હરકતો આ બધુ આપણને કહી જાય છે કે ટ્રમ્પ વિચિત્ર નથી પણ તે એવા સોશિયલ સ્ટાન્ડર્ડ્ઝને નકારે છે જેને આપણે શિષ્ટ કે પવિત્ર કહીએ છીએ. તેમનો ઉછેર, તેમની સાયકોલોજીકલ એરર અને સત્તાની ભૂખે જ આજના ટ્રમ્પને આવા બનાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પમાં અમેરિકા પોતાની એવી છબી જુએ છે જે વિનરની હોય છે. પણ ખરેખરમાં વિજય કરતા સત્ય મોટું હોય છે. અને છેલ્લે… આપણે વાત કરી કે ડોનાલ્ડ ટ્રમ્પને 13 વર્ષની ઉંમરે મિલિટરી સ્કૂલ મોકલવામાં આવ્યા હતા પણ શા માટે મોકલવામાં આવ્યા હતા તેની વાત કરીએ. ટ્રમ્પ પોતાની નિશાળમાં ખૂબ જ તોફાની અને જીદ્દી મિજાજના હતા. છોકરાઓ સામે ગુંડાગર્દી તો છોકરીઓની ચોટલી ખેચતા હતા, મ્યુઝીક ટીચરને તો આંખમાં મુક્કો મારીને આંખ સોજાડી દીધી હતી. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 7:55 pm

સોશિયલ આઈ ફાઉન્ડેશને વિદ્યાર્થીઓ માટે વિશેષ કાર્યક્રમ યોજ્યો:તાજ સ્કાયલાઈન હોટલમાં 200 બાળકોને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો આનંદ મળ્યો

અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી તાજ સ્કાયલાઈન હોટલમાં સોશિયલ આઈ ફાઉન્ડેશન દ્વારા એક વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરની આમંત્રિત શાળાઓના મધ્યમ વર્ગના 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ માટે ડાન્સ, મેજિક શો, ગરબા અને મિમિક્રી જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તેમને ભોજન પણ પીરસવામાં આવ્યું હતું, જેનાથી બાળકોને ખૂબ આનંદ થયો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને 'પાણી બચાવો' વિષય પર જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો હતો. દરેક વિદ્યાર્થીને ભેટ સ્વરૂપે ફૂલસ્કેપ ચોપડા પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં તાજ સ્કાયલાઈન હોટલના તમામ સ્ટાફ મેમ્બર્સ અને સોશિયલ આઈ ફાઉન્ડેશનની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. આમંત્રિત શાળાઓના સંચાલકો, આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. ખાસ કરીને, દિવ્યાંગ બાળકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને સૌએ સાથે મળીને તેમને પણ આનંદ કરાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 7:54 pm

ગ્રામ્ય એલસીબીની કાર્યવાહી:પાદરા નજીક ખેતરમાંથી એલસીબીએ 2.11 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, રેડમાં પિતા-પુત્ર ઝડપાયા

વડોદરા જિલ્લાના પાદરા નગર વિસ્તારમાં બજરંગનગર પાછળ આવેલા ખેતરમાં જિલ્લા પોલીસ દ્વારા દરોડો પાડીને 2.11 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સ્થળ પરથી બુટલેગર પિતા અને પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે દારૂ સપ્લાય કરનાર આરોપી ફરાર થઈ ગયો તેને વોન્ટેડ જાહેર કરાયો છે. બાતમીને આધારે પોલીસે તાત્કાલિક રેડ પાડીમાહિતી મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, પૃથ્વી પટેલે પોતાના ખેતરની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે અને છૂટક વેચાણ કરે છે. આ બાતમીને આધારે સ્થળ પર પોલીસે તાત્કાલિક રેડ પાડી હતી. દરોડા દરમિયાન શંભુ માળી ફરાર થઈ ગયો હતોઆ દરોડા દરમિયાન પૃથ્વી રીંકીન પટેલ અને તેમના પિતા રીંકીન ભોગીલાલ પટેલને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓ દારૂના ગેરકાયદેસર વેપારમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. તેઓ દારૂનો જથ્થો શંભુ માળી (રહે. તરસાલી, વડોદરા) પાસેથી લાવવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન શંભુ માળી ફરાર થઈ ગયો હતો. જેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ તેજ કરવામાં આવી છે. 4.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોપોલીસે સ્થળ પરથી 2.11 લાખનો દારૂ એક મોબાઇલ ફોન અને એક વાહન સહિત કુલ રૂપિયા 4.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 7:53 pm

વડોદરા મનપાની ચૂંટણી માટે કોંગ્રેસનું પ્રચાર અભિયાન શરૂ:ચૈત્રી આઠમ અને રામનવમીના પવિત્ર દિવસે શ્રીગણેશ કર્યા, પ્રમુખે કહ્યું: શહેરમાં ભાજપે વિકાસના નામે માત્ર વાયદાઓ કર્યા છે, વાસ્તવિક પરિસ્થિતિ ચિંતાજનક છે

વડોદરા શહેરમાં ચૈત્ર આઠમ અને શ્રી રામ નવમીના પવિત્ર અવસરે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવનારી મહાનગરપાલિકા ચૂંટણી માટેના પ્રચાર અભિયાનનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે ઐતિહાસિક બહુચરાજી મંદિર ખાતે માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે ઓટોરિક્ષા સ્ટીકર અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. કુંવારિકા કન્યાઓ દ્વારા કંકુ-ચોખાની પરંપરાગત વિધિ કરીને અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે, આ અભિયાન મારફતે કોંગ્રેસ શહેરના દરેક ખૂણામાં પહોંચવાનો પ્રયાસ કરશે. ઓટોરિક્ષા દ્વારા પાર્ટીનો સંદેશ સીધો લોકો સુધી પહોંચશે અને જનતા સાથે સીધો સંવાદ સ્થાપિત થશે. કોંગ્રેસ લોકોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને ચૂંટણી લડશે અને વડોદરાને સુવિધાસભર તથા સ્વચ્છ શહેર બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ અભિયાન માત્ર રાજકીય પ્રચાર પૂરતું નથી, પરંતુ શહેરના નાગરિકો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરી તેમની સમસ્યાઓ અને કોંગ્રેસના સંકલ્પો પહોંચાડવાનો પ્રયાસ છે. ઓટોરિક્ષા સ્ટીકર અભિયાન દ્વારા શહેરના દરેક વિસ્તાર સુધી પહોંચીને જનતા સાથે સક્રિય જોડાણ મજબૂત કરવામાં આવશે. વર્તમાન શાસન સામે કોંગ્રેસ મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે અને આવનારી ચૂંટણીમાં જનતા પરિવર્તન તરફ આગળ વધશે. ભાજપના શાસન પર પ્રહાર કરતાં ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં વિકાસના નામે માત્ર વાયદાઓ અને જાહેરાતો કરવામાં આવી રહી છે, જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ ચિંતાજનક છે. હરણી બોટ કાંડ જેવી દુર્ઘટનામાં નિર્દોષ લોકોના જીવ ગયા હોવા છતાં પીડિતોને પૂરતો ન્યાય મળ્યો નથી, એમ તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે શહેરની આધારભૂત સુવિધાઓ અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. રસ્તાઓની હાલત ખરાબ હોવાનું, ખાડાઓના કારણે લોકો પરેશાન થતા હોવાનું તેમજ ગટર અને ડ્રેનેજ વ્યવસ્થા નિષ્ફળ ગયાની વાત તેમણે ઉલ્લેખી હતી. વરસાદી સિઝનમાં પાણી ભરાવાની સમસ્યા સામાન્ય બની ગઈ હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. વર્ષોથી ભાજપનું શાસન હોવા છતાં વિકાસની હકીકત સામે આવી રહી છે અને હવે જનતા પરિવર્તન માટે તૈયાર છે. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી, આશિષભાઈ જોશી, સ્વેજલ વ્યાસ, મહેન્દ્રસિંહ રાઠોડ સહિત શહેર કોંગ્રેસના સિનિયર નેતાઓ, કોર્પોરેટરો, આગેવાનો, વોર્ડ પ્રમુખો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 7:52 pm

રવિશંકર મહારાજ શાળાની કૃતિને રામન સ્પર્ધામાં પ્રથમ સ્થાન:AIF અને LT આયોજિત સ્પર્ધામાં ઇન્ફ્રારેડ સ્વીચને સફળતા

શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળાએ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ, અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન (AIF) અને LT ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી સી. વી. રામન કોમ્પિટિશન -2025/26માં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સ્પર્ધામાં સુરત જિલ્લા અને સુરત શહેરની કુલ 51 શાળાઓએ ભાગ લીધો હતો. ઓનલાઈન મોડમાં યોજાયેલી આ સ્પર્ધામાં શાળાની કૃતિએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. શાળાના બાળ વૈજ્ઞાનિકો વર્મન દિપાલી નોનેલાલ અને રિદ્ધિ વિશાલભાઈ રાવળે 'ઇન્ફ્રારેડ સ્વીચ' નામની કૃતિનું સફળતાપૂર્વક નિદર્શન કર્યું હતું. વિજેતા ટીમને પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવી હતી. શાળાના આચાર્ય રોશનીબેન ટેલરે આ સિદ્ધિ બદલ બાળ વૈજ્ઞાનિકો, માર્ગદર્શક શિક્ષક વર્ષાબેન પટેલ, આરતીબેન સારંગ અને કૉ-ઓર્ડીનેટર દર્શનભાઈ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 7:52 pm

માંગરોળ પોલીસે ગેરકાયદેસર હેરાફેરી કરાતું અનાજ ઝડપી પાડ્યો:​માંગરોળમાં પોલીસ દ્વારા બે બોલેરોમાંથી 8,790 કિલો શંકાસ્પદ અનાજ ઝડપાયું.બે બોલેરો માંથી લાખોનો ઘઉં-ચોખાનો જથ્થો જપ્ત, સરકારી અનાજ હોવાની શંકાએ તપાસ તેજ.

​જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરીના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. ગરીબો માટે ફાળવવામાં આવતા અનાજને કાળાબજારમાં વેચવાનું આખું રેકેટ સક્રિય હોવાની આશંકા વચ્ચે આજરોજ માંગરોળ પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવી છે. માંગરોળ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બે બોલેરો પિકઅપ વાહનોને આંતરીને તેમાંથી હજારો કિલો શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ જથ્થો માંગરોળથી કેશોદ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે જ પોલીસે તેને દબોચી લીધો હતો. ​માંગરોળ પોલીસ સ્ટેશનના પીઆઇ જે. જે. પટેલ અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાઈવે પર વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન બે બોલેરો પિકઅપ ગાડીઓ શંકાસ્પદ જણાતા તેને ઉભી રાખવામાં આવી હતી. આ વાહનોની તલાશી લેતા તેમાંથી મોટા પ્રમાણમાં અનાજ ભરેલા કોથળા મળી આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ જથ્થો સરકારી અનાજ (રેશનિંગ) હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે. પોલીસે આ તમામ મુદ્દામાલ અને વાહનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ​ઝડપાયેલા મુદ્દામાલની વિગતો જોઈએ તો, કુલ 8,790 કિલો અનાજનો જથ્થો મળી આવ્યો છે. જેમાં ચોખાના કુલ 6,935 કિલોગ્રામના જથ્થાની કિંમત ₹1,52,570 (પ્રતિ કિલો ₹22 લેખે) આંકવામાં આવી છે. જ્યારે 1,855 કિલોગ્રામ ઘઉંના જથ્થાની કિંમત ₹37,100 (પ્રતિ કિલો ₹20 લેખે) ગણવામાં આવી છે. આ ઉપરાંત અનાજની હેરાફેરીમાં વપરાયેલા બંને બોલેરો પિકઅપ વાહનોની કિંમત ₹6,00,000 ગણીને કુલ ₹7,89,670 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. ​હાલમાં માંગરોળ પોલીસ દ્વારા આ અનાજ ક્યાંથી આવ્યું હતું અને ક્યાં સપ્લાય કરવામાં આવી રહ્યું હતું તે દિશામાં ઉંડી તપાસ શરૂ કરવામાં આવી છે. સરકારી અનાજના કાળાબજારમાં સંડોવાયેલા મોટા માથાઓ સુધી પહોંચવા માટે પોલીસે પકડાયેલા વાહન ચાલકોની પૂછપરછ હાથ ધરી છે. અનાજનો જથ્થો સરકારી હોવાની પુષ્ટિ કરવા માટે પુરવઠા વિભાગને પણ જાણ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે પોલીસ તંત્ર દ્વારા હવે ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 7:48 pm

ગરવા ગિરનારની ગોદમાં ગુંજ્યો જય શ્રી રામનો નાદ:ઝાંઝરડા રોડ અને ઉપરકોટથી ભવ્ય શોભાયાત્રા નીકળી, 45 જેટલા ફ્લોટ્સ અને હજારો રામભક્તો જોડાયા

​જૂનાગઢ શહેરમાં આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મજયંતિ એટલે કે 'રામ નવમી'ની અભૂતપૂર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ગિરનારની ગોદમાં વસેલું આ ઐતિહાસિક શહેર આજે સંપૂર્ણપણે 'રામમય' બની ગયું છે. શહેરની બે સૌથી મોટી અને મુખ્ય શોભાયાત્રાઓનું આજે ભવ્ય પ્રસ્થાન થયું છે. ઉપરકોટ નજીક આવેલા પ્રાચીન શ્રી રામ મંદિર અને ઝાંઝરડા ગામના રામ મંદિર ખાતેથી ભગવાન રામની શોભાયાત્રા વાજતે-ગાજતે નીકળી હતી. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં રામભક્તો ઉમટી પડ્યા હતા અને 'જય શ્રી રામ'ના નાદથી સમગ્ર ગિરિ તળેટી ગુંજી ઉઠી હતી. 6થી 7 કલાક સુધી આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો અને ગલીઓમાં ફરશેઆજની આ મુખ્ય શોભાયાત્રામાં આશરે 40થી 45 જેટલા આકર્ષક ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા છે, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ફ્લોટ્સમાં રામાયણના વિવિધ પ્રસંગો અને પાત્રોને જીવંત કરવામાં આવ્યા છે, જેના દ્વારા નવી પેઢીને રામચરિત્રના મૂલ્યો સમજાવવાનો પ્રયાસ કરાયો છે. ઢોલ-નગારા, શરણાઈના સૂર અને ડીજેના તાલે યુવાનો અને મહિલાઓ ભક્તિના રંગમાં રંગાયા છે. હરિ ઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષો જૂની પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ ભવ્ય આયોજન કરાયું છે. ટ્રસ્ટના અગ્રણી ગોકુલ વસોયાએ જણાવ્યું હતું કે, અંદાજે 6થી 7 કલાક સુધી આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો અને ગલીઓમાં ફરશે, જ્યાં ઠેર-ઠેર તેનું સ્વાગત કરવામાં આવશે. રામનવમી એ માત્ર એક ધાર્મિક તહેવાર નથી, જીવન જીવવાની મર્યાદા શીખવતો પર્વ ​જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ પણ રામ જન્મોત્સવના આ પવિત્ર અવસરે જોડાઈને જનતાને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ભગવાન રામના જીવનના આદર્શો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, રામનવમી એ માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પરંતુ જીવન જીવવાની મર્યાદા શીખવતો પર્વ છે. રામ રાજ્યની સ્થાપના ત્યારે જ શક્ય છે જ્યારે આપણે તેમના જીવનના ઓછામાં ઓછા એક વિચારને આપણા ચરિત્રમાં ઉતારીએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, આજે જોશીપુરાથી લઈને ઝાંઝરડા રોડ સુધી સમગ્ર જૂનાગઢ જાણે મિની અયોધ્યા બની ગયું હોય તેવો માહોલ સર્જાયો છે. સનાતન હિન્દુ એકતા સમિતિ દ્વારા પણ ઝાંઝરડા રોડ પરથી શોભાયાત્રા કાઢવામાં આવી​બીજી તરફ, ઝાંઝરડા રોડ વિસ્તારમાં પણ દિવાળી જેવો ઝાકઝમાળ માહોલ જોવા મળી રહ્યો છે. ભોજલરામ ગ્રુપ જૂનાગઢ અને સેવા સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બે દિવસીય સાંસ્કૃતિક મહોત્સવના ભાગરૂપે આજે લાઈવ ઓરકેસ્ટ્રા અને સંતવાણીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રસ્તાઓ પર ભગવા રંગની ધજા-પતાકા અને આકર્ષક રોશનીના કારણે રાત્રીના સમયે આખો વિસ્તાર ઝળહળી ઉઠ્યો છે. દિવ્યેશ જેઠવા અને હરિઓમ પંચોલી જેવા કલાકારોએ પોતાની પ્રસ્તુતિ દ્વારા ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. સનાતન હિન્દુ એકતા સમિતિ દ્વારા પણ ઝાંઝરડા રોડ પરથી જે શોભાયાત્રા કાઢવામાં આવી છે તેમાં પણ રામસેના પાત્ર ગ્રુપના સભ્યો વિવિધ પાત્રોના વેશ ધારણ કરીને આકર્ષણ જગાવી રહ્યા છે. શોભાયાત્રાના માર્ગ પર ઠેર-ઠેર ફરાળ અને ઠંડા પીણાની પણ વ્યવસ્થા ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિના સંગમ સમાન જૂનાગઢમાં આજે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મંદિરે દર્શનાર્થે ઉમટ્યા હતા. શોભાયાત્રાના માર્ગ પર ઠેર-ઠેર ફરાળ અને ઠંડા પીણાની પણ વ્યવસ્થા સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે. ગિરનારના આંગણે આજે જન્મોત્સવની પૂર્વ સંધ્યાથી લઈને આજની મુખ્ય શોભાયાત્રા સુધીની તમામ ઉજવણીઓએ ભક્તોમાં એક નવી ઊર્જા અને આધ્યાત્મિકતાનો સંચાર કર્યો છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 7:33 pm

પીપલોદમાં વર્ક વિઝાના નામે લાખોની છેતરપિંડી:અલ્બેનિયામાં નોકરીની લાલચ આપી ગઠિયાએ 6 લોકો પાસેથી કુલ 16.66 લાખની રકમ પડાવી લીધી

સુરત શહેરના પોશ ગણાતા પીપલોદ વિસ્તારમાં વિદેશ જવા ઈચ્છતા યુવાનો સાથે છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલ્બેનિયા દેશમાં સુપર માર્કેટમાં નોકરી અપાવવાના બહાને એક ગઠિયાએ 6 લોકો પાસેથી કુલ રૂ. 16.66 લાખની રકમ પડાવી લીધી હતી. આ મામલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ઓળખીતા 6 મિત્રોને વિદેશ મોકલવાની લાલચ આપીમૂળ સેલવાસાના વતની અને હાલ સુરતના પીપલોદમાં રહેતા 39 વર્ષીય યોગેશભાઈ નટવરલાલ પ્રજાપતિએ આરોપી પ્રિયાંકકુમાર રાજેન્દ્રકુમાર ખત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પ્રિયાંકકુમારે પોતાને વિદેશમાં નોકરી અપાવતા એજન્ટ તરીકે ઓળખાવ્યો હતો. તેણે યોગેશભાઈના છ ઓળખીતાઓને અલ્બેનિયા દેશમાં આવેલી જાણીતી 'સ્પાર સુપર માર્કેટ'માં વર્ક વિઝા સાથે નોકરી અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા. નકલી વર્ક વિઝા અને બોગસ એગ્રીમેન્ટ લેટર પકડાવ્યાઆરોપી પ્રિયાંક એટલો શાતિર હતો કે તેણે ભોગ બનનારનો વિશ્વાસ જીતવા માટે અસલી જેવા લાગતા બોગસ એગ્રીમેન્ટ લેટર અને નકલી વર્ક વિઝા પણ મોકલી આપ્યા હતા. આ દસ્તાવેજો જોઈને ફરિયાદીને વિશ્વાસ બેઠો હતો કે પ્રક્રિયા સાચી દિશામાં ચાલી રહી છે. આરોપીએ વિઝા પ્રક્રિયા અને નોકરીના નામે પ્રતિ વ્યક્તિ રૂ. 3.5 લાખની માંગણી કરી હતી, જે પેટે તેણે ટુકડે-ટુકડે લાખો રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું. દોઢ વર્ષ સુધી વાયદાઓ કર્યા પણ વિઝા ન આપ્યાતપાસમાં સામે આવ્યું છે કે છેતરપિંડીનો આ સિલસિલો 20 ડિસેમ્બર 2024થી શરૂ થયો હતો અને 25 માર્ચ 2026 સુધી ચાલ્યો હતો. આ સમયગાળા દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી કુલ રૂ. 16,66,500 વસૂલ કર્યા હતા. લાંબો સમય વીતી જવા છતાં અને લાખો રૂપિયા ચૂકવ્યા હોવા છતાં, જ્યારે યુવાનોને વિદેશ મોકલવાની કોઈ તજવીજ ન જણાઈ, ત્યારે ફરિયાદીએ પૈસા પરત માંગ્યા હતા. પીપલોદની 'સિદ્ધી ફોટો' દુકાન પર ખેલાયો ખેલઆ સમગ્ર છેતરપિંડીની લેતી-દેતી પીપલોદ જકાતનાકા પાસે આવેલી 'સિદ્ધી ફોટો' નામની દુકાન ખાતે થઈ હતી. પૈસા મેળવી લીધા બાદ આરોપી પ્રિયાંકકુમારે ગલ્લાં-તલ્લાં શરૂ કર્યા હતા. અંતે તેણે પૈસા પરત આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દેતા યોગેશભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. છેવટે તેમણે કાયદાનો આશરો લઈ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરીઉમરા પોલીસે આ મામલે પ્રિયાંકકુમાર ખત્રી સામે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ પો.સ.ઈ. બી.ડી. વાઘ ચલાવી રહ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીએ અગાઉ અન્ય કોઈ વ્યક્તિઓને પણ આ પ્રકારે વિદેશના બહાને ચૂનો લગાવ્યો છે કે કેમ. હાલ આરોપી ફરાર હોવાથી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 7:23 pm

ગઢડામાં રામલલાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ:વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાંચમી શોભાયાત્રા, સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા

ગઢડા શહેરમાં રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરંપરા હેઠળ આ વર્ષે પાંચમી વખત શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં યોજાયેલી આ શોભાયાત્રામાં સંતો-મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા શહેરના મઘરપાટ અંબાજી ચોકથી પ્રસ્થાન થઈ હતી. આ શોભાયાત્રા જીનનાકા, વાઢાળાચોક, માણેકચોક, નવી કાપડ બજાર, જુના મંદિર, ટાવર રોડ, બોટાદના ઝાંપે અને હાઈસ્કૂલ ચાર રસ્તા સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. તેમાં ધાર્મિક અને સામાજિક સંદેશ આપતા અંદાજે 20 જેટલા ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. ભજન મંડળીઓ, બેન્ડ અને ડીજેના તાલે યુવાનો 'જય શ્રી રામ'ના નારા સાથે ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતા. શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કુલ ૧૦૩ જેટલા પોલીસકર્મીઓ બોડીવન કેમેરા, દૂરબીન અને વોકી-ટોકી જેવા આધુનિક સાધનો સાથે તૈનાત હતા. સંવેદનશીલ વિસ્તારોમાં ધાબા પોઈન્ટ દ્વારા ખાસ નજર રાખવામાં આવી હતી, જેના પરિણામે શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. આ શોભાયાત્રા અંગેની માહિતી ગઢડા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અર્જુન રાજ્યગુરુએ આપી હતી.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 7:20 pm

બગવદર પોલીસે લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો:મહિલા આરોપી ₹60.61 લાખના મુદ્દામાલ સાથે ઝડપાઈ

પોરબંદર જિલ્લાના બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શીશલી ગામના ટીંબા સીમમાં થયેલી મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે ચોરીના સંપૂર્ણ મુદ્દામાલ સાથે એક મહિલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બગવદર પોલીસે આ ચોરી અંગે સઘન તપાસ શરૂ કરી હતી. બાતમીના આધારે પોલીસે સ્થાનિક રહેવાસી શાંતિબેન કેશુભાઈ જેઠાભાઈ ખુંટી (ઉંમર 42) ની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ ગુનાની કબૂલાત કરી હતી. ચોંકાવનારી બાબત એ છે કે આરોપીએ ચોરી કરેલા મૂળ દાગીના ઓળખાય નહીં તે માટે તેને ઓગાળીને તેમાંથી નવા દાગીના પણ બનાવી લીધા હતા. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલા દાગીના અને રોકડ રકમ રિકવર કરી છે. જેમાં આશરે 422.96 ગ્રામ સોનાના દાગીના (ઓગાળેલા અને નવા બનાવેલા દાગીના સહિત) અને ₹1,50,000 રોકડ રકમનો સમાવેશ થાય છે. કુલ ₹60,61,132/- નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. બગવદર પોલીસે બાતમીના આધારે ચોરીનો 100% મુદ્દામાલ રિકવર કર્યો છે. હાલ મહિલા આરોપીની ધરપકડ કરી આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 7:13 pm

વડોદરામાં રંગેચંગે નીકળી રામનવમીની ભવ્ય શોભાયાત્રા:ફતેપુરામાં માનવ મહેરામણ ઉમટ્યું, ડીજે-આતશબાજી સાથે શાંતિપૂર્ણ યાત્રા પસાર, પોલીસની ડ્રોન અને ધાબા પરથી બાજ નજર

વડોદરા શહેરમાં રામનવમી પર્વને લઈ આજે ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં આજે 23 જેટલી શોભાયાત્રાઓ નીકળી છે. ત્યારે શહેરના સંવેદનશીલ ગણાતા કુંભારવાડા વિસ્તારમાં આવેલા ફતેપુરા વિસ્તારમાંથી રામજીની શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં લોખંડી બંદોબસ્ત સાથે નીકળી હતી. આ યાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફતેપુરા વિસ્તારમાંથી શાંતિપૂર્ણ માહોલમાં યાત્રા પસારસંવેદનશીલ ગણાતા ફતેપુરા વિસ્તારમાંથી રામનવમીને લઈ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આરતી બાદ ડીજેના તાલ અને ભવ્ય આતિશબાજી સાથે આ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. રામજીની શોભાયાત્રાનું ભવ્ય ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામભક્તો ઉમટી પડ્યા હતા. શોભાયાત્રાના રૂટ પર ઠેર ઠેર આરતી કરવામાં આવી હતી. ડ્રોન સાથેની ટેકનોલોજી સાથે પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતુંઆ અંગે જોઇન્ટ પોલીસ કમિશનર નિલેશ જાજડિયાએ જણાવ્યું હતું કે, કમિશનર અને એમની સાથે સાથે જોઈન્ટ કમિશનર, એડિશનલ કમિશનર, તમામ ડી.સી.પી દ્વારા તમામ મોબાઈલ દ્વારા, મોટરસાઈકલ, ડ્રોન, બીજી વીડિયો એનાલિટિક્સ સાથેના ડ્રોન સાથેની ટેકનોલોજી સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. એ જ પ્રમાણે જે 23 યાત્રાઓ અને 9 જેટલા ભંડારા છે એ પૈકી ઘણી યાત્રાઓ અત્યારે ચાલુ છે, ઘણી યાત્રાઓ અત્યારે નીકળવાની છે. શોભાયાત્રાની સાથે દરેક જગ્યાએ પોલીસનો ચુસ્ત બંદોબસ્તહાલમાં 6 એસ.આર.પી ની કંપનીઓ છે, 2000 કરતાં વધારે પોલીસનો સ્ટાફ છે, 50 જેટલા પી.આઈ., પી.એસ.આઈ. અધિકારીઓ બંદોબસ્તમાં અત્યારે તૈનાત છે અને ડીપ પોઈન્ટમાં શોભાયાત્રાની સાથે દરેક જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો છે. વડોદરા સંસ્કારી નગરી છે, ખૂબ સારો માહોલ છે. તમામ ધર્મના લોકો તરફથી ખૂબ સારો સહકાર મળી રહ્યો છે. આની પહેલા અમે દરેક ધર્મના આગેવાનો સાથે મીટીંગો કરી લીધી હતી. અત્યારે પણ જે મુખ્ય નાકાઓ છે ત્યાં બીજા ધર્મના જે અગ્રગણ્ય નાગરિકો છે તેઓ પણ ઉપસ્થિત છે અને તેઓ પણ આજે શોભાયાત્રા નીકળવાની છે એમનું સ્વાગત કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 7:11 pm

જૂની અદાવતમાં યુવક પર છરી વડે હુમલો:ધુળેટી સમયે થયેલા ઝઘડાનો ખાર રાખી શિવાજી સર્કલ પાસે 3 શખસોએ મળી યુવક પર હુમલો કર્યો

ભાવનગર શહેરના શિવાજી સર્કલ નજીક ગતરાત્રીનાધુળેટીના દિવસે થયેલી બોલાચાલીનું વેરભાવ રાખીને 3 શખ્સોએ એક યુવાન ને ઢીકા-પાટુ નો મારમારી છરીથી હુમલો કર્યો હતો. હુમલામાં યુવાન ને વાંસા અને ખંભા પાસે ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે ઘોઘારોડ પોલીસે કાળુ ઉર્ફે 302 સહિત બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના શિવાજી સર્કલ પાસે આવેલ શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને શાકભાજીનો વ્યવસાય કરતા જીતુભાઈ છગનભાઈ ડોડિયા (ઉ.વ. 44)એ ફરિયાદ નોંધાવી છે કે, ગત મોડીરાત્રીના તેઓ શિવાજી સર્કલ ખાતે શાકભાજીના થડા પર બેઠા હતા ત્યારે તેમના મિત્રના દિકરાએ આવી જાણ કરી કે તેમના દીકરા જેનીસ પર છરીથી હુમલો થયો છે અને તેને રીક્ષામાં દવાખાને લઈ જવાયો છે. આ માહિતી મળતા જ તેઓએ તેમના નાના ભાઈને ફોન કરી બનાવની જાણ કરી અને બંને સર-ટી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં જેનીસ ન મળતા દિકરીનો ફોન આવ્યો કે જેનીસ ઘરે આવી ગયો છે. ઘરે પહોંચી તપાસ કરતા જેનીસને વાંસાના ભાગે ત્રણ ટાંકા અને જમણા ખંભા પાસે ઇજા જોવા મળી હતી. જેણે જણાવ્યા મુજબ, તે પોતાના મિત્રો સાથે શિવાજી સર્કલ શ્રીજી પાનના ગલ્લાની બાજુમાં ક્રિષ્ના બેકરી પાસે પાસે બેઠો હતો ત્યારે કાળુ ઉર્ફે 302 તથા બે અજાણ્યા શખ્સો આવ્યા અને ગાળો આપતા વિવાદ થયો હતો. જેનીસે ગાળો ન આપવા કહેતા કાળુ 302 એ મારમાર્યો અને અન્ય શખ્સે છરીથી હુમલો કર્યો હતો, જ્યારે ત્રીજા શખ્સે પણ મારપીટ કરી હતી. આસપાસ લોકો ભેગા થતા શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા, જ્યારે પિતા એ તેના દીકરાને ક્યાં કારણસર મારમાર્યો તે અંગે જાણવા પ્રયાસ કરતા,જણાવ્યું કે આ લોકો સાથે ધુળેટીના દિવસે થયેલી બોલાચાલીનો વેર રાખીને હુમલો કરાયો હોવાનું સામે આવ્યું હતું. બાદમાં શ્વાસ લેવામાં તકલીફ થતા જેનીસને 108 મારફતે સર-ટી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. આ મામલે ઘોઘારોડ પોલીસે કાળુ ઉર્ફે 302 તથા બે અજાણ્યા શખ્સો સામે BNS કલમ 115(2), 118(1), 352, 351(3), 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 7:11 pm

ગોધરામાં કાકણપુર રામપુરા ગામે હડકાયા શ્વાનનો હુમલો:2 વર્ષની બાળકી અને વાછરડાને ગંભીર ઈજા

ગોધરા તાલુકાના કાકણપુર રામપુરા ગામે એક હડકાયા શ્વાને બે વર્ષની બાળકી અને એક વાછરડા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકીને કાનના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટના સમયે, બે વર્ષની બાળકી પોતાના ઘરના આંગણામાં રમી રહી હતી. અચાનક આવેલા શ્વાને તેના પર હુમલો કર્યો અને કાનના ભાગે ગંભીર બચકાં ભર્યા. બાળકીની ચીસો સાંભળીને પરિવારજનો દોડી આવતા શ્વાન ત્યાંથી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તબીબો દ્વારા તેની સઘન સારવાર ચાલી રહી છે. આ હુમલા પહેલા, તે જ હડકાયા શ્વાને ગામમાં એક વાછરડા પર પણ હુમલો કર્યો હતો. પંચમહાલ જિલ્લામાં, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં, રખડતા શ્વાનોના હુમલાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો છે અને તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક નક્કર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 7:10 pm

પરિણીતા પર 4 વર્ષથી દુષ્કર્મ ગુજારનાર ઝડપાયો:રાજકોટમાં ભાઈના પ્રેમલગ્નની માથાકૂટમાં યુવાનનું અપહરણ, ત્રિપલ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

રાજકોટમાં છેલ્લા 20 વર્ષથી પોતાના પતિથી અલગ રહેતી 45 વર્ષીય પરિણીતા દ્વારા શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 64 (2)(M), 115 (2), 351 (2) સહિતની કલમ અંતર્ગત જુબેર કુરેશી (ઉવ.33) નામના વ્યક્તિ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે મામલામાં પોલીસે તેની ધરપકડ કરી જેલહવાલે કર્યો છે. ઝડપાયેલો શખ્સ રીક્ષા ડ્રાઇવર છે અને પરણિત છે. જેની સામે અગાઉ અમદાવાદમાં સાઇબર ફ્રોડનો ગૂનો નોંધાઈ ચૂક્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે. શહેરમાં રહેતી 45 વર્ષીય પરણિતાને 4 વર્ષ પહેલા ધાર્મિક સ્થળે દર્શન માટે જતી વખતે એક ઓટો રિક્ષા ચાલક સાથે પરિચય થયો હતો. રિક્ષા ચાલક જુબેર કુરેશીએ શરૂઆતમાં ભાડું ન લઈને તેણીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ જુબેર કુરેશી તેણીના ઘરે આવી ગયો હતો અને તેણી પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતુ. આ સાથે જ આરોપીએ વીડિયો બનાવીને ધમકી આપીને મૌન રહેવા મજબૂર કરી હતી. જે બાદ છેલ્લા ચાર વર્ષ દરમિયાન આરોપી વારંવાર ઘરે આવી ધમકી આપી અને બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો રહ્યો હોવાનો આક્ષેપ છે. તાજેતરમાં પણ આરોપીએ પીડિતાને માર માર્યો હતો અને તેના હાથની આંગળી તોડી નાખી હતી. આ ઘટનાના પગલે પીડિતાએ સામાજિક સંસ્થાઓનો સંપર્ક કર્યો હતો અને બાદમાં પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. જે બાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગૂનો દાખલ થયો હતો. ભક્તિનગર પોલીસે બુધવારના રોજ આરોપી જુબેર કુરેશીની ધરપકડ કરી હતી અને ગુરૂવારના રોજ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે એક પણ દિવસના રિમાન્ડ ન માગતા આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી પરણિત હોવા છતાં પણ ત્યકતાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યુ હતુ. જોકે હવે તેને દુષ્કર્મના ગુનામાં જેલની સજા થઈ છે. ભાઈના પ્રેમલગ્નને લીધે માથાકૂટમાં યુવાનનું અપહરણ કરી માર માર્યો રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં પ્રેમલગ્નના ડખ્ખામાં યુવકનું અપહરણ થયું હતું અને ઢોર માર માર્યો હતો અને ધમકી અપાઈ હતી કે, દીકરીને ઘરે પાછી મુકી જાજે, નહિતર જાનથી મારી નાખી લાશ ગીરમાં ફેંકી દેશું. આ અંગે આજીડેમ પોલીસે દીકરીના પિતા સહિતના સામે ગુનો દાખલ કર્યો છે. ફરિયાદમાં ભરત કરમણભાઈ ભરવાડ (ઉં.વ. 22)એ જણાવ્યું કે, હું કોઠારીયા સોલવંટમાં મારા પરિવાર સાથે રહું છું. ભાઈ વિજય (ઉં.વ.24)ને 8 માસ પહેલા રામભાઈ ટોળીયાની દીકરી પાયલ સાથે પ્રેમ લગ્ન થયા છે. દરમિયાન 25 માર્ચના રાત્રીના 10 વાગ્યે હું મારી મોબાઇલની દુકાન બંધ કરી મારા ફઈ અનુબેન મંગાભાઈ જોગરાણાના ઘરે જતો હતો ત્યારે 4 અજાણ્યા શખ્સો આવ્યા અને મને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. તે દરમિયાન ધીરુભાઈ ટોળીયા, રામભાઇ ટોળીયા, રાહુલ અને ખોડાભાઈ જોગરાણા પણ ત્યાં આવી ગયા હતા. જે બાદ કારમાં અપહરણ કરી શાપરના ગોંડલ રોડ પાસેના પુલ બાજુ લઈ ગયા હતા. જ્યાં ગાડી ઉભી રાખી મને ઉતારી લાકડાના ધોકા વડે માર માર્યો હતો. જે બાદ સીતારામ સોસાયટી પાસે કારમાંથી ધક્કો મારી નીચે પછાડી જતા રહ્યા હતા. જેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જૂની અદાવતમાં સગીરને છરીનો ઘા મારી હાથના કાંડાની નસ કાપી ધરમનગરમાં જૂની અદાવતમાં સગીરને છરો મારી હાથના કાંડાની નસ કાપી નાંખતા તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. 10 દિવસ પહેલા થયેલા ઝઘડાનો ખાર રાખી સગીરને મિત્રએ તને શેની હવા છે? તેમ કહી છરો મારી હાથના કાંડાની નસ, ત્રાણીયા કાપી નાખ્યા હતાં. જતા જતા મારા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી છે તો જેલમાંથી છૂટ્યા બાદ ફરી છરીના ઘા મારીશ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે જગદીશભાઈ ગોરધનભાઈ ટીમ્બલીયા (ઉં. વ.52) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના 17 વર્ષના પુત્ર દિક્ષિતના મિત્ર જામ્બો ઉર્ફે આનંદનું નામ આપી જણાવ્યું હતું કે, ગત તા.24 ના રોજ રાત્રિના 11.30 વાગ્યા આસપાસ તેના પુત્ર દીક્ષિતનો ફોન આવ્યો કે, તેના મિત્ર જામ્બાએ તેના ડાબા હાથમાં છરો મારી દીધેલ છે અને મિત્ર પાવન સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવ્યો છે. ટ્રક - ક્રેઇન વચ્ચેના અકસ્માતમાં બાઇક ચાલક ગેરેજ ધારકનું મોત, પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી ગ્રીનલેન્ડ ચોકડીએ ત્રિપલ અકસ્માતમાં સર્જાતા ગેરેજ સંચાલકનુ મૃત્યુ નિપજ્યુ હતુ. ગ્રીનલેન્ડ ચોક પાસે જ ટ્રકમાં ગ્રીસ ભરવાનું ગેરેજ ધરાવતા 45 વર્ષીય રસિકભાઈ હિરપરા આજે 26 માર્ચના સવારે ગેરેજેથી ઘરે જતા હતા ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી વાળા ચોકમાં ક્રેઈન અને રીક્ષા વચ્ચે બાઈક દબાઈ ગયું હતુ અને અકસ્માત સર્જાયો હતો. જેને લીધે રસિકભાઈનું મૃત્યુ નિપજ્યુ હતુ. રસિકભાઈ 2 ભાઈ અને 1 બહેનમાં નાના હતા. તેમને સંતાનમાં 1 પુત્ર છે. પોતે મૂળ રાજકોટ તાલુકાના માલીયાસણ પાસે આવેલ ખેરડી ગામના વતની હતા. અકસ્માત મૃત્યુના બનાવથી પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ભારે શોક છવાયો હતો. ફેડ બેંકમાંથી ગોલ્ડ લોન મેળવી સોનુ ન જમા કરાવી છેતરપિંડી રેલનગરમાં આવેલી ફેડબેંકમાંથી રૂ. 8.15 લાખની ગોલ્ડ લોન મેળવી સામે બેંકમાં સોનુ નહિ જમા કરાવી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. ભેજાબાજે ફેડબેંકમાંથી ગોલ્ડ લોન મેળવી આઈઆઈએફએક બેંકમાં ગીરો પડેલા દાગીના છોડાવી લઇ ધિરાણ આપનાર બેંકને આપ્યા ન હતા. જે બાદ રોકડા નાણા આપવાનું કહી રૂ.2.15 લાખ આપ્યા હતા અને રૂ.6 લાખ નહીં આપી તમારે મારા વિરુદ્ધ જે ફરિયાદ કરવી હોય તે કરી દો હું પૈસા આપવાનો નથી એમ કહેતા બેન્કના એરિયા મેનેજરે પ્રદ્યુમનનગર પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે બેંકના એરિયા મેનેજર હીરેનભાઇ વ્યાસે આરોપી તરીકે ગૌરાજ ડોડીયા (રહે.આર્યનગર, પેડક રોડ) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. માનસિક અસ્વસ્થ યુવાનનો એપાર્ટમેન્ટ પરથી કૂદકો મારી આપઘાત ઉદયનભાઈ દિલીપભાઈ લાંબા (ઉં.વ. 42, રહે.રાધે કૃષ્ણ સોસાયટી શેરી નં.3,આહીર ચોક પાસે, રાજકોટ) આજે 26 માર્ચના વહેલી સવારે પોતાના નિત્ય ક્રમ મુજબ મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા બાદ ઘરની નજીક જ આવેલા સાસ્વત પ્રભુવત બિલ્ડિંગમાં જઈ ઉપરથી પડતું મુકી દીધું હતું. બનાવથી લોકો એકઠા થઈ જતા 108માં જાણ કરાઈ હતી. 108ના સ્ટાફે સ્થળ પર મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી.પોલીસે મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ઉદયનભાઈ માનસિક રીતે અસ્વસ્થ હતા. બે ભાઈઓમાં મોટા અને અપરિણીત હતા. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો. પુત્રીએ ભાગીને લગ્ન કરતા માતાએ ફિનાઇલ પી લીધુ નવા થોરાળામાં દીકરીએ ભાગીને લગ્ન કરતા માતાએ ફિનાઈલ પી લીધું હતું. માતાને રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા. મળતી માહિતી અનુસાર, કંચનબેન મનસુખભાઈ વાઘેલા (ઉં.વ.59, રહે. નવા થોરાળા શેરી નં.9) રાત્રિના 10.30 વાગ્યાની આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ફિનાઇલ પી જતા અત્રેની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસ સૂત્રોએ નિવેદન લેવા તજવીજ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, દીકરીએ ભાગીને લગ્ન કરી લેતા આ પગલું ભર્યું હતું. હાલ તેઓ સારવાર હેઠળ છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 7:04 pm

વેરાવળ-સોમનાથમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી:શોભાયાત્રામાં ઉમટ્યા ભક્તો, શહેરભરમાં ધર્મમય માહોલ

વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારમાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની આ વર્ષે ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શહેરમાં ધાર્મિક ઉલ્લાસ છવાઈ ગયો હતો અને રામભક્તોએ ઉમંગભેર ઉજવણીમાં ભાગ લીધો હતો. વેરાવળ શહેરમાં વખારીયા બજાર સ્થિત ત્રીકમરાયજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો, યુવાનો અને હિન્દુ સમાજના આગેવાનો જોડાયા હતા. ડી.જે.ના તાલે તેમજ ઢોલ-શરણાઈના નાદ સાથે યુવાનો શ્રી રામ જય રામ જય જય રામના ગુંજતા નાદ સાથે વાતાવરણને ભક્તિમય બનાવી રહ્યા હતા. શોભાયાત્રા દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવી શાંતિપૂર્ણ આયોજન સુનિશ્ચિત કર્યું હતું. શોભાયાત્રાના માર્ગ પર વિવિધ સમાજો અને સંસ્થાઓ દ્વારા ઠેરઠેર સ્વાગત દ્વાર ઉભા કરી યાત્રાનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂલવર્ષા, ઠંડા પીણા અને પ્રસાદનું વિતરણ કરી ભક્તોને આવકારવામાં આવ્યા હતા. આ સાથે જ, વેરાવળના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા નવા અને જૂના રામ મંદિરોમાં છેલ્લા નવ દિવસથી રામ જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા હતા. વહેલી સવારથી લઈને રાત્રિ સુધી વધાઈ, રામધુન અને ભજન-કીર્તનનો માહોલ રહ્યો હતો. જન્મ ક્ષણે બપોરે બાર વાગ્યે ભગવાન શ્રી રામના દર્શન માટે ભાવિકોની લાંબી કતારો લાગી હતી. વેરાવળ લોહાણા મહાજન દ્વારા પણ રામ જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. મહાજન વાડી ખાતે પ્રમુખ વિક્રમભાઈ તન્ના અને ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયાના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સવારે ધાર્મિક વિધિઓ બાદ ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રામ દરબાર અને હિંડોળા દર્શનનો લાભ મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ લીધો હતો. ઉજવણી દરમિયાન ભજન-કીર્તન અને ધૂન પર રાસ રમી ભક્તોએ આનંદ વ્યક્ત કર્યો હતો. અંતે સમૂહ ફરાળ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમાજ એકતાનું સુંદર દૃશ્ય સર્જાયું હતું.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 7:00 pm

અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા બાદ પોરબંદર કોંગ્રેસની સ્થિતિ ખરાબ:મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો નથી મળી રહ્યાં, 'ભરતી મેળો' શરૂ કરવાની ફરજ પડી

ગુજરાતના રાજકારણના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાના ભાજપમાં જોડાવા બાદ પોરબંદર કોંગ્રેસમાં સક્ષમ ઉમેદવારોની અછત સર્જાઈ છે. એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતા આ વિસ્તારમાં હવે પક્ષને ચૂંટણી લડાવવા માટે યોગ્ય ઉમેદવારો નથી મળી રહ્યાં. કોઈ કોંગ્રેસની ટિકિટ પર લડવા તૈયાર નથી!આ કફોડી સ્થિતિને પહોંચી વળવા માટે કોંગ્રેસે હવે વિચારધારા અને સારા માણસોના નામે નવા લોકોને પક્ષમાં જોડાવવા માટે આહ્વાન કર્યું છે. રાજકીય વિશ્લેષકો આને પક્ષની લાચારી તરીકે જોઈ રહ્યા છે, કારણ કે પક્ષને પોતાના પાયાના કાર્યકરો પર ભરોસો રહ્યો નથી અથવા કોઈ કોંગ્રેસની ટિકિટ પર લડવા તૈયાર નથી. 'ભરતી મેળો' શરૂ કરવાની ફરજ પડીચૂંટણી નજીક આવતા જ પોરબંદરનું રાજકારણ ગરમાયું છે. એક તરફ કોંગ્રેસ ભાજપ શાસનમાં વધતી મોંઘવારી અને બેરોજગારીને મુદ્દો બનાવી મેદાનમાં ઉતરી છે, તો બીજી તરફ પક્ષમાં સક્ષમ ચહેરાઓના અભાવે 'ભરતી મેળો' શરૂ કરવાની ફરજ પડી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. કોંગ્રેસના ભાજપ સરકાર પર પ્રહારોગઈકાલે પોરબંદર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં કોંગ્રેસના અગ્રણી નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં સામાન્ય જનતા મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહી છે. ગેસના બાટલા, તેલ અને પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે. યુવાનોની બેરોજગારી મુદ્દે પણ સરકારે માત્ર વાતો જ કરી હોવાનો આક્ષેપ કરતા કોંગ્રેસે આગામી સમયમાં જનતા જવાબ આપશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 6:50 pm

ઘોઘામાં ચોભાપીર સરકારનો ભવ્ય ઉર્ષ યોજાશે:રામ-રહિમ ગૃપ દ્વારા કોમી એકતાના દર્શન સાથે કવ્વાલીના જંગનું શાનદાર આયોજન

ભાવનગરના ઘોઘા ખાતે જૈન દેરાસર પાસે મુખ્ય રોડ પર બિરાજમાન હજરત રોશન ઝમીર ચોભાપીર સરકારનો ઉર્ષ શરીફ આગામી શનિવાર, તા. 28-03-2026 ના રોજ અત્યંત શાન અને શૌકત સાથે ઉજવવામાં આવશે. રામ-રહિમ ગૃપ દ્વારા સતત 9 મા વર્ષે આ ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે સમગ્ર પંથકમાં કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સંદલ શરીફ અને ન્યાઝનું આયોજનઉર્ષના પવિત્ર પ્રસંગે સાંજે 5:00 કલાકે દાણાપીઠ વિસ્તારમાં આવેલી મેમણ મસ્જીદ ખાતેથી સંદલ શરીફનું ભવ્ય ઝુલુસ વાજતે-ગાજતે નીકળશે અને દરગાહ શરીફ પહોંચશે. સાંજે 7:00 કલાકે તમામ હિન્દુ-મુસ્લિમ ભાઈ-બહેનો માટે મહાપ્રસાદ (ન્યાઝ) ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. કવ્વાલીનો ભવ્ય મુકાબલો અને લાઈવ પ્રસારણરાત્રે 9:00 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત રાજસ્થાનના પ્રખ્યાત કવ્વાલ અકબર આઝાદ ચિશ્તી અને ગુજરાતની મશહૂર ફનકારા સલીનાખાન વચ્ચે કવ્વાલીનો મુકાબલો જામશે. આ કાર્યક્રમમાં રઇશ મિરાસી અને તેમની ટીમ સાઝ સંગત આપશે. વિશેષ સુવિધા રૂપે, સ્ટુડિયો સિતારામના સૌજન્યથી આ સમગ્ર કાર્યક્રમનું યુટ્યૂબ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. રામ-રહિમ ગૃપ દ્વારા આ પાવન અવસરે દરેક સમાજના લોકોને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 6:47 pm

નવસારીમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી:બંને પક્ષોની બેઠકો શરૂ; સંગઠનાત્મક મજબૂતી અને રણનીતિ પર ભાર મૂકી રહ્યા છે

નવસારી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ બંને સક્રિય બન્યા છે. ભાજપે સંગઠનાત્મક મજબૂતી અને વ્યૂહાત્મક આયોજન સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. કોંગ્રેસે પણ સોશિયલ મીડિયાથી દૂર રહીને બેઠકો યોજવાનું શરૂ કર્યું છે. ભાજપ દ્વારા નવસારી મહાનગરપાલિકાના તમામ વોર્ડ અને જિલ્લા પંચાયતની 30 બેઠકો પર વિસ્તારવાર બેઠકો યોજવામાં આવી રહી છે. આ બેઠકોમાં જિલ્લા અને તાલુકા સ્તરના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણી કાર્યકર્તાઓ, પેજ પ્રમુખો અને બૂથ લેવલના કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. આ પ્રક્રિયામાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઇન્ચાર્જ અશોકભાઈ ધોરાજી, સનમ પટેલ, પિયુષ પટેલ અને કરસનભાઈ ટીલવા સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. જિલ્લા મહામંત્રીઓ જીગરભાઈ દેસાઈ, શાંતિલાલ પટેલ અને ડૉ. લોચન શાસ્ત્રી પણ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી રહ્યા છે. આ બેઠકો દરમિયાન ખાસ કરીને માઇક્રો લેવલ પ્લાનિંગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમાં બૂથવાર મતદારોની વિગતો, નવી મતદાર નોંધણી, મતદારો સાથે સીધો સંપર્ક સાધવા માટેના કાર્યક્રમો અને ઘર-ઘર સંપર્ક અભિયાનનો સમાવેશ થાય છે. સરકારની લોકકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. ઉપરાંત, દરેક બૂથ પર મજબૂત ટીમ ઊભી કરવા, પેજ પ્રમુખ વ્યવસ્થાને સક્રિય બનાવવા, યુવા અને મહિલા કાર્યકર્તાઓની ભાગીદારી વધારવા અને સોશિયલ મીડિયા દ્વારા વધુ અસરકારક પ્રચાર કેવી રીતે કરી શકાય તે બાબતો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 6:41 pm

ઉન મદ્રેસામાં બુરખાધારીનો આતંક CCTVમાં કેદ:8.45 લાખની મત્તા ચોરી પુરાવા મટાડવા ઓફિસ સળગાવી

સુરતના ઉન-ભેસ્તાન રોડ પર આવેલી એક પ્રતિષ્ઠિત મદ્રેસામાં સનસનીખેજ ચોરી અને આગજનીની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારો વળાંક CCTV ફૂટેજમાં જોવા મળ્યો છે, જેમાં એક બુરખાધારી શખ્સ અત્યંત ચાલાકીથી મદ્રેસાના ગેટની અંદર જતો સ્પષ્ટ દેખાય છે. આ અજાણ્યા શખ્સે મોડી રાત્રે મદ્રેસાના સંકુલમાં પ્રવેશ કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા ભેસ્તાન પોલીસે તાત્કાલિક ધોરણે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. વહેલી સવારે પોણા ચાર વાગ્યે ખેલાયો ચોરીનો ખેલપ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના 24 માર્ચ 2026ના રોજ વહેલી સવારે આશરે પોણ ચાર વાગ્યાની આસપાસ બની હતી. મદ્રેસાના સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો મુજબ, એક શખ્સ પોતાની ઓળખ છુપાવવા માટે બુરખો પહેરીને મુખ્ય ગેટની અંદર પ્રવેશ્યો હતો. ગેટની અંદર ગયા બાદ તેણે સીધો જ મદ્રેસાની ઓફિસ તરફ પ્રયાણ કર્યું હતું. આ શખ્સે ઓફિસનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તિજોરી સાફ કરી 8.45 લાખની મત્તાની લૂંટઆરોપીએ ઓફિસમાં રાખેલા કબાટ અને તિજોરીને નિશાન બનાવી હતી. તેણે કબાટમાંથી અંદાજે 7,50,000 રૂપિયાની રોકડ રકમ પર હાથ સાફ કર્યો હતો. આટલું જ નહીં, ટેબલ પર રાખેલા આશરે 95,000 રૂપિયાની કિંમતના 4 એન્ડ્રોઇડ મોબાઈલ ફોન પણ આ બુરખાધારી શખ્સ ચોરી કરી ગયો હતો. આમ, કુલ 8,45,000 રૂપિયાની માતબર રકમની ચોરી કરીને આરોપીએ મદ્રેસાના વહીવટકર્તાઓને મોટો આર્થિક ફટકો આપ્યો છે. પુરાવા નાશ કરવા ઓફિસમાં લગાડી આગચોરી કર્યા બાદ પોતાની ઓળખ છુપાવવા અને સીસીટીવી ફૂટેજ કે અન્ય પુરાવાનો નાશ કરવાના ઈરાદે બુરખાધારી શખ્સે ઓફિસમાં આગ ચાંપી દીધી હતી. આગને કારણે ઓફિસમાં રહેલા અગત્યના દસ્તાવેજો, શૈક્ષણિક ફાઈલો, ફર્નિચર અને કોમ્પ્યુટર સેટ બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે મદ્રેસાના અન્ય ભાગોમાં સૂતેલા લોકોને સમયસર જાગ થઈ જતાં આગ પર કાબૂ મેળવી શકાયો હતો, નહીંતર આખી ઈમારત લપેટમાં આવી શકે તેમ હતી. ભેસ્તાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈઆ મામલે મદ્રેસાના સંચાલક અબ્દુલ અહમદ ખલીલે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, 25 માર્ચ 2026ના રોજ રાત્રે 22:30 કલાકે સત્તાવાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ જાણીજોઈને બુરખાનો ઉપયોગ કર્યો હતો જેથી તેની ઓળખ ન થઈ શકે. હાલમાં FSLની ટીમની મદદ લઈને ઘટનાસ્થળેથી જરૂરી નમૂનાઓ લેવામાં આવ્યા છે. જાણભેદુ હોવાની શંકા સાથે તપાસ તેજહાલમાં પાંડેસરા પોલીસની અલગ-અલગ ટીમો સીસીટીવી ફૂટેજમાં દેખાતા બુરખાધારી શખ્સના રૂટને ટ્રેક કરી રહી છે. ગેટની અંદર જતા દેખાતા આ શખ્સની ઊંચાઈ અને ચાલવાની ઢબ પરથી પોલીસ તેને ઓળખવાના પ્રયાસો કરી રહી છે. પોલીસને શંકા છે કે આ કોઈ જાણભેદુ વ્યક્તિનું કામ હોઈ શકે છે જે મદ્રેસાની ઓફિસ અને રોકડ ક્યાં રાખવામાં આવે છે તેનાથી વાકેફ હતો. ટૂંક સમયમાં આરોપીની ધરપકડ થાય તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 6:38 pm

પંચમહાલમાં ડૉલર બદલવાના બહાને 15 લાખની છેતરપિંડી:બે અજાણ્યા સામે કાંકણપૂર પોલીસમથકે ફરિયાદ નોંધાઈ

પંચમહાલ જિલ્લામાં ડૉલર બદલવાના બહાને ₹15 લાખની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ કાંકણપૂર પોલીસમથકે ફરિયાદ નોંધાઈ છે. પેટલાદ તાલુકાના પારજ ગામના ખેડૂત મુકેશભાઈ કાલીદાસ પટેલ સાથે આ છેતરપિંડી થઈ છે. ગત 17 ફેબ્રુઆરીના રોજ તેમને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતાને સ્વામિનારાયણ સંસ્થાના સેવક તરીકે ઓળખાવી, ડૉલરને ભારતીય રૂપિયામાં બદલવા માટે મદદ માંગી હતી. શરૂઆતમાં મુકેશભાઈએ શંકા વ્યક્ત કરી વાતચીત ટાળી હતી, પરંતુ આરોપી સતત તેમના સંપર્કમાં રહ્યો. તેણે વધુ મોટી રકમના ડૉલર બદલવાની લાલચ આપી મુકેશભાઈને વિશ્વાસમાં લીધા અને આ કામ માટે તૈયાર કર્યા. 24 માર્ચના રોજ વહેલી સવારે મુકેશભાઈ ભાડાની કારમાં ડ્રાઈવર સાથે ગોધરા તરફ નીકળ્યા. માર્ગમાં ટુવા નજીક પહોંચતા અજાણ્યા ઈસમે તેમને કેનાલ પાસે એક વ્યક્તિને પૈસા આપવાની સૂચના આપી. ત્યાં પહોંચતા એક અજાણ્યો વ્યક્તિ મળ્યો, જેણે ફોન પર વાત કરાવી વિશ્વાસ પેદા કર્યો અને મુકેશભાઈ પાસેથી ₹15 લાખ ભરેલી બેગ લઈ લીધી. બદલામાં આરોપીએ મુકેશભાઈને કાળી થેલીમાં ડૉલર આપ્યા. ત્યારબાદ તે રેલવે લાઇન ઓળંગીને ભાગી ગયો અને તેના બીજા સાથી સાથે બાઈક પર ફરાર થઈ ગયો.શંકા જતાં મુકેશભાઈએ થેલી ખોલી તપાસ કરતા તેમાં માત્ર 495 ડૉલર જ હોવાનું સામે આવ્યું, જે ભારતીય કરન્સી મુજબ અંદાજે ₹45,000 જેટલું થાય છે. આ રીતે મોટી રકમની છેતરપિંડી થતાં મુકેશભાઈએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો. કાંકણપુર પોલીસે અજાણ્યા ઈસમો સામે છેતરપિંડીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 6:36 pm

એલસીબીએ બગવદરમાં દરોડો પાડ્યો:2.67 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત

પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) ટીમે બગવદર વિસ્તારના સિંહજરનેશ ગામમાં દરોડો પાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે કુલ 234 બોટલો સાથે આશરે રૂ. 2,67,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. એલસીબી ટીમે નાગકા ગામના સિંહજરનેશ વિસ્તારમાં રહેતા બાવન કાના કટારાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. મકાનના ફળિયામાંથી વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી. તપાસમાં 19 પુઠ્ઠાના બોક્સમાંથી કુલ 234 બોટલો જપ્ત કરવામાં આવી હતી. દરોડા દરમિયાન આરોપી બાવન કાનાભાઈ કટારા સ્થળ પર હાજર નહોતો અને તે ફરાર હોવાનું જણાયું હતું. આ મામલે બગવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ટીમો તહેનાત કરી તેની શોધખોળ તેજ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ધંધા સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે. આવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકો સામે સતત કડક કાર્યવાહી ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 6:34 pm

મિત્રએ મિત્ર પર નજીવી બાબતે છરીથી હુમલો કર્યો:બીજા સાથે ઝઘડો કરવાની ના પાડતા ઉશ્કેરાઈને પીઠમાં છરી ઝીંકી, પોપટનગરના શખ્સ સામે ગુનો

ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તારના પોપટનગરમાં રહેતા યુવક પર તેના જ મિત્ર દ્વારા છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. નાસ્તો લેવા નીકળેલા યુવકને રસ્તામાં અટકાવી બીજા સાથે ઝઘડો કરવા દબાણ કરાયું હતું, જેની ના પાડતા ઉશ્કેરાયેલા મિત્ર એ યુવાનને પીઠમાં છરીનો ઘા મારતા ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે એક શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુનિલે ઝઘડા માટે સાથે આવવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયોઆ બનાવ અંગે ગંગાજળિયા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તારના પોપટનગરમાં રહેતા 25 વર્ષીય સુનિલ ધમાભાઈ પરમારે ફરિયાદ નોંધાવી છે કે, ગત રાત્રે તેઓ મોટરસાયકલ પર નાસ્તો લેવા જતા હતા, ત્યારે આશરે સાડા બારેક વાગ્યે મોતી સ્ટુડિયો પાસે પહોંચ્યા હતા. ત્યારે તેમનો મિત્ર રાહુલ ઉર્ફે ગુંદી ચંદુભાઈ રાઠોડ પોતાના મિત્રો સાથે બેઠો હતો અને સુનિલને બોલાવી મોટરસાયકલ ઉભી રાખવા કહ્યું હતું. ત્યારબાદ રાહુલે કહ્યું કે, તારી બાજુમાં રહેતા હરિભાઈ બુધાભાઈ બારૈયા સાથે ઝઘડો કરવા સાથે આવવા દબાણ કર્યું હતુ, પરંતુ સુનિલે ઝઘડા માટે સાથે આવવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી છરી કાઢી પીઠમાં ઘા મારી ઈજાઓ પહોંચાડી હતી. ચક્કર આવતાં તે ઘરે પહોંચ્યો હતો, જ્યાંથી પરિવારજનોએ તેને તાત્કાલિક ભાવનગર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો, આ મામલે ગંગાજળિયા પોલીસે રાહુલ ઉર્ફે ગુંદી ચંદુભાઈ રાઠોડ રહે. ભાવનગર સામે BNS કલમ 118(1), 352 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 6:32 pm

રાજકોટમાં ૐગુરુનો દિવ્ય મંત્ર થેરાપી દરબાર:750થી વધુ લોકોએ મેળવી આધ્યાત્મિક શાંતિ, હવે રાજ્યભરમાં યોજાશે નિઃશુલ્ક કાર્યક્રમો

રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં તાજેતરમાં આધ્યાત્મિકતા અને શક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ સદગુરુ ૐઋષિ સ્વામીજી ૐગુરુ દ્વારા આયોજિત ‘મંત્ર થેરાપી દરબાર’માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પોરબંદરના પૂર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુકના હસ્તે કરવામાં આવ્યું હતું. 750થી વધુ ભાવિકોએ અનુભવી દિવ્ય ઉર્જાઆ વિશેષ દરબારમાં 750થી વધુ લોકોએ ભાગ લઈ પવિત્ર મંત્રોના જાપ અને મંત્ર સાધનાની શક્તિનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો. સમગ્ર ઓડિટોરિયમ ભક્તિ અને શાંતિના માહોલથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમમાં અનેક મહાનુભાવોએ પણ ઉપસ્થિત રહીને ૐગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ૐગુરુએ આ પ્રસંગે મંત્ર શક્તિપાત, સર્વ દુઃખભંજન, દસમહાવિદ્યા ચાલીસા અને ઓમકાર ચાલીસા જેવી પોતાની સ્વરચિત આધ્યાત્મિક ગાથાઓ રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. જીવનની સમસ્યાઓનું આધ્યાત્મિક નિરાકરણઆજના આધુનિક યુગમાં મનુષ્ય ભૌતિક સુખો પાછળ દોડી રહ્યો છે, પરંતુ આંતરિક શાંતિથી વંચિત છે. આ બાબતે ૐગુરુએ જણાવ્યું હતું કે, મંત્ર થેરાપી દ્વારા દિવ્ય શક્તિ સાથે જોડાઈને માનસિક અને આંતરિક શાંતિ મેળવી શકાય છે. તેમણે શ્રદ્ધાળુઓને આર્થિક, શારીરિક, માનસિક અને સામાજિક સમસ્યાઓના નિવારણ માટે 7 પ્રકારની દિવ્ય વસ્તુઓ ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી. નિઃશુલ્ક સમાજ કલ્યાણનો સંકલ્પૐગુરુએ દેશ અને દુનિયામાં નિઃશુલ્ક મંત્ર થેરાપી દરબારો યોજવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તેમનો ઉદ્દેશ્ય દરેક વ્યક્તિ સુધી સાચું આધ્યાત્મિક માર્ગદર્શન પહોંચાડવાનો અને સમાજનું કલ્યાણ કરવાનો છે. નોંધનીય છે કે, ગંભીર શારીરિક પડકારો હોવા છતાં તેઓ લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તેઓ અમદાવાદ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના સ્થાપક પણ છે. આગામી કાર્યક્રમોની રૂપરેખારાજકોટની સફળતા બાદ હવે આ દિવ્ય યાત્રા આગળ વધશે. આગામી મંત્ર થેરાપી દરબાર 12 એપ્રિલે ભરૂચમાં યોજાશે. ત્યાર બાદ આણંદ, બિલીમોરા, નવસારી, સુરત અને ગોંડલ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં પણ ભવ્ય દરબારોનું આયોજન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 6:29 pm

ધારાસભ્ય નિમિષાબેન સુથારે આંબલીયાત-જોટગીયા માર્ગનું ખાતમુહૂર્ત કર્યું:ગ્રામીણ કનેક્ટિવિટીને મળશે નવો વેગ

ગોધરા તાલુકાના આંબલીયાત ગામે ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે આંબલીયાતથી જોટગીયા ગામને જોડતા મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ માર્ગ ગ્રામીણ કનેક્ટિવિટીને નવો વેગ આપશે. આ નવીન માર્ગના નિર્માણથી ગોધરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસની ગતિ વધુ તેજ બનશે. આ માર્ગ બનવાથી આંબલીયાત અને જોટગીયા ગામ વચ્ચેની વર્ષો જૂની રસ્તાની સમસ્યાનો અંત આવશે, જેનાથી બંને ગામો વચ્ચેનું અંતર વધુ સુવિધાજનક બનશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમ આંબલીયાત ગામે એક ગરિમામય વાતાવરણમાં યોજાયો હતો. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 6:22 pm

20 લાખ લીટર પાણીનો મારો છતાં આગ કાબુ ન આવી:ખજોદ ડમ્પિંગ સાઈટ પર સતત ત્રીજા દિવસે ફાયર જવાનોની કામગીરી, સંપૂર્ણ આગ કાબુમાં લેવા હજુ બે દિવસ લાગશે

સુરતના છેવાડે આવેલી ખજોદ ડમ્પિંગ સાઈટ પર આજે સતત ત્રીજા દિવસે પણ આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગના લશ્કરો ભારે જહેમત ઉઠાવતા નજરે પડ્યા હતા. અલબત્ત, બે દિવસ પહેલાં એક કિલોમીટર વિસ્તારમાં લાગેલી આગ પર 20 લાખ લીટર પાણીનો મારો ચલાવી મહદઅંશે અંકુશ મેળવવામાં આવ્યો છે. જોકે, ફાયર વિભાગને સંપૂર્ણ આગ કાબુમાં લેવા માટે હજુ બે દિવસ જેટલો સમય લાગી શકે છે. આગામી બે દિવસમાં આગ પર કાબુ મેળવવાની સાથે કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, 25 માર્ચની આખી રાત ફાયર વિભાગ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને આજે મોટા ભાગનાં વિસ્તારમાં આગ પર આંશિક કાબુ મેળવવામાં સફળતા મેળવી છે. અલબત્ત, જે સ્થળ પર હાલમાં આગ અને ધુમાડાનાં ગોટેગોટા ઉઠી રહ્યા છે, ત્યાં ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. 24 માર્ચે બપોરના સુમારે ડમ્પિંગ સાઈટમાં ભિષણ આગસ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં પહેલો નંબર મેળવનાર સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર અને વૈજ્ઞાનિક ઢબે કચરાનો નિકાલ કરવાનો ઇજારો ધરાવતાં સીડી ટ્રાન્સપોર્ટનાં મેળાપીપણામાં હજારો ટન કચરાનો બારોબાર નિકાલ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો વચ્ચે વધુ એક વખત ખજોદ ખાતે આવેલી ડમ્પિંગ સાઈટ પર મંગળવારે બપોરનાં સુમારે અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે, ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખા શહેરમાં કચરા કૌભાંડ પર પડદો પાડવા માટે આગ લગાવવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આગ પર કાબુ મેળવા 20 લાખ લીટર પાણીનો વપરાશ10 કિલોમીટર દૂર સુધી આગનો ધૂમાડો નજરે પડતાં આસપાસનાં વિસ્તારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. બીજી તરફ આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં ફાયર વિભાગે અંદાજે 20 લાખ લીટર પાણીનો વપરાશ કરીને આગ પર કાબુ મેળવવાનાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જોકે, આજે ફાયર વિભાગ દ્વારા આંશિક આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી અને આગ પુન: ન વધે તે માટે જે સ્થળેથી ધૂમાડા નીકળી રહ્યા છે, ત્યાં પણ પાણીનો અવિરત છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 6:20 pm

કાલોલ પાસે છકડો પલટ્યો, 5 શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત:પાવાગઢથી પરત ફરતા બોડીદ્રા ગામના શ્રદ્ધાળુઓને ઈજા

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મધવાસ ગામ નજીક એક છકડો રિક્ષા પલટી જતાં પાંચ મુસાફરોને ઈજા પહોંચી હતી. આ મુસાફરો પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ઈજાગ્રસ્તોમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. તમામ ઘાયલોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, કાલોલ તાલુકાના બોડીદ્રા ગામના શ્રદ્ધાળુઓ પાવાગઢ ખાતે દર્શન કરવા ગયા હતા. દર્શન પૂર્ણ કરીને તેઓ પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. મધવાસ નજીક પહોંચતા છકડા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે છકડો રસ્તાની બાજુમાં પલટી ગયો હતો. અકસ્માત બનતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને મદદ કરી હતી. તેમણે 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જે બાદ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 6:19 pm

ભંગાર ગેંગનો પર્દાફાશ:ગાંધીનગરમાં ભંગાર વીણવાના બહાને ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, લાખોના દાગીના સહિત 22 લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર જિલ્લાના સાંતેજ, માણસા અને અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિવસ દરમિયાન ઘરફોડ ચોરી આચરતી એક સક્રિય ગેંગને ઝડપી પાડવામાં સાંતેજ પોલીસને સફળતા મળી છે. પોલીસે કુલ 7 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 22 લાખની કિંમતના સોનાચાંદીના દાગીના રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છેકે આ ગેંગ રિક્ષામાં આવી ભંગાર વિણવા બહાને બંધ મકાન ફાર્મ હાઉસની રેકી કરી ઘરફોડ ચોરીને અંજામ આપતી હતી. ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના અંદાજે 200થી વધુ સીસીટીવી ચેક કર્યા ગાંધીનગર જિલ્લામાં વધતી જતી ચોરીની ઘટનાઓને અટકાવવા પોલીસ અધિક્ષક રવી તેજા વાસમસેટ્ટી દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. જેના આધારે સાંતેજ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. મુછાળ અને સર્વેલન્સ સ્કોડની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટીમે ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના અંદાજે 200 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. આ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે એક સીએનજી રિક્ષા (નંબર GJ-27-WA-2455) માં ચોરીનો માલ લઈ કેટલાક ઇસમો વડસર એરફોર્સ બ્રિજ પાસેથી પસાર થવાના છે.જે બાતમીના આધારે પોલીસે વડસર ગામની સીમમાં ધોળકા સબ કેનાલ પાસે વોચ ગોઠવી હતી. કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોર ઝડપાઈ ગયાઆ અંગે પીઆઈ એસ.આર. મૂછાળે જણાવ્યું કે, રિક્ષા આવતા જ તેને કોર્ડન કરી તપાસ કરતા રવિ જયંતિભાઈ ઠાકોર અને તેની પત્ની કોમલ (મૂળ રહે. દોત્રોલી ગામ, તા. ઇડર, જિ. સાબરકાંઠા),​ ​રોશની ગૌતમભાઈ ગોપાલભાઈ દેવીપુજક (મૂળ રહે. તરભ ગામ, તા. વિસનગર, જિ. મહેસાણા),​અજય પોપટભાઈ વાદી (રહે. કલોલ),​અર્જુન રમેશભાઈ આદિવાસી ( રહે. કલોલ),​સુર્યાબેન અનિલભાઈ ચંદુભાઈ સલાટ (મૂળ રહે. હિંમતનગર આર.ટી.ઓ. સર્કલ પાસે, જિ. સાબરકાંઠા) તેમજ ​કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોર ઝડપાઈ ગયા છે. 22 પ્રકારના દાગીના જપ્ત કરી વધુ પૂછતાછ ચાલીઆ તમામ આરોપીઓ હાલ કલોલના પીયજ રોડ પર કાચા છાપરામાં રહેતા હોવાનું સામે આવ્યું છે. આ ભંગાર ગેંગે કબૂલાત કરી છે કે, તેઓ રિક્ષા લઈને ભંગાર વીણવાના બહાને દિવસ દરમિયાન રેકી કરતા હતા. જે મકાન કે ફાર્મ હાઉસ બંધ જણાય તેના દરવાજાના લોક તોડી ચોરીને અંજામ આપતા હતા. આ ટોળકીની ધરપકડથી સાંતેજ, માણસા અને અડાલજ પોલીસ સ્ટેશનના કુલ 3 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ ઉપરાંત ઝડપાયેલી મહિલા આરોપીઓ કોમલ અને રોશની અગાઉ કલોલ તાલુકા અને શહેર પોલીસ સ્ટેશનના ગુનાઓમાં વોન્ટેડ હોવાનું પણ બહાર આવ્યું છે. ગેંગ પાસેથી સોનાનો સેટ કિં. 5.77 લાખ, સોનાના બાજુબંધ કિં. 2.35 લાખ, સોનાની કાનની ચેન-બુટ્ટી કિં. 2.61 લાખ તેમજ ચાંદીના કંદોરા, પાયલ અને જુરા સહિત કુલ 22 પ્રકારના દાગીના જપ્ત કરી વધુ પૂછતાછ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 6:15 pm

VHP, બજરંગ દળ દ્વારા રામનવમી શોભાયાત્રા યોજાઈ:અમદાવાદમાં હજારો રામભક્તો જોડાયા, શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના દરિયાપુર તથા દુધેશ્વર પ્રખંડ દ્વારા રામનવમી નિમિત્તે અમદાવાદમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં હજારો રામભક્તો જોડાયા હતા, જેના કારણે સમગ્ર શહેર રામમય બન્યું હતું. આ શોભાયાત્રા સરયુ મંદિર, પ્રેમ દરવાજાથી શરૂ થઈ હતી. આ ચોથું વર્ષ હતું જ્યારે આ શોભાયાત્રાનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં દરિયાપુર, દુધેશ્વર પ્રખંડ અને અસારવા જિલ્લાના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રામનવમીના પવિત્ર અવસરે આયોજિત આ શોભાયાત્રામાં હોદ્દેદારો સહિત હજારો રામભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. યાત્રા દરમિયાન ઠેર ઠેર આરતી ઉતારવામાં આવી હતી અને ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. શ્રદ્ધાળુઓ માટે શરબત, ઠંડા પીણાં, આઈસ્ક્રીમ અને પાણીની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 6:14 pm

AMC ફૂડ વિભાગની કાર્યવાહી:229 ખાણીપીણીની જગ્યાઓમાં ચેકિંગ, સી.જી. રોડ પરની બેકરીમાંથી જીવાત નીકળવા મામલે 25 હજારનો દંડ

શહેરના સીજી રોડ ઉપર BEEKAY BAKERSની નાનખટાઈમાંથી જીવાત નીકળવા મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા આ બેકરીની હાઈજેનિક કન્ડીશન મામલે નોટિસ ફટકારીને રૂ .25 હજારનો દંડ વસૂલ કરાયો છે. AMC ફુડ વિભાગ દ્વારા શહેરમાં હોટલ, રેસ્ટોરેન્ટ, ખાણીપીણીના એકમો, ડેરી, બેકરી, ચવાણા એન્ડ સ્વીટમાર્ટ સહિતના એકમોમાં ચેકિંગ કરીને 127 ફુડ સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. 3 દિવસમાં 229 એકમોમાં ચેકિંગ કરીને 85 એકમોને નોટિસ ફટકારવામાં આવીAMC ફુડ વિભાગ છેલ્લા 3 દિવસમાં 229 એકમોમાં ચેકિંગ કરીને 85 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે અને 64 TPC ટેસ્ટ કરાયા છે તથા 144 કિ. તથા 138 લિટર બિનઆરોગ્યપ્રદ ખાદ્યસામગ્રીનો નાશ કરાયો છે અને રૂ.1.78 લાખનો દંડ વસૂલ કરાયો છે. ફુડ વિભાગ દ્વારા શેરડીના રસના 7, દૂધ અને દૂધની બનાવટોના 12, બેકરી પ્રોડક્ટ્સના 4, પાણી પુરી અને મસાલના 3, નમકીનના 3, બેસન, લોટના 5, ખાદ્ય તેલના 3, મસાલાના 15 તથા અન્ય 75 સહિત કુલ 127 સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ફુડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં જાહેર આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને ઠંડા પીણા, આઈસ્ક્રીમ, બરફના ગોળા, લસ્સી, વગેરે ધંધા સાથે સકંળાયેલાઓના સ્થળે ચેકિંગ ઝૂંબેશ સઘન બનાવવામાં આવશે

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 6:09 pm

બગવદર પોલીસે ટ્રકમાંથી 82.68 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:રોજીવાડા પાસે 5640 બોટલ સાથે ચાર સામે ગુનો દાખલ

પોરબંદર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત બગવદર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રોજીવાડાથી ઇશ્વરીયા ગામ તરફ જતા રસ્તા પર એક વાડી નજીકથી પોલીસે આઇસર ટ્રકમાંથી ₹82.68 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹82,68,800નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ રેન્જના DIG રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર SP ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં દારૂની બદી નાબૂદ કરવા આપેલી સૂચનાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગ્રામ્ય DYSP સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ બગવદર પીએસઆઈ આર.જી. ચુડાસમા અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ચોક્કસ બાતમીના આધારે, પોલીસે રોજીવાડા ગામની સીમમાં રવી ભોજાભાઈ કણેતની વાડી પાસે ખુલ્લા વિસ્તારમાં ઉભેલા ટ્રક પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન, આઇસર ટ્રકમાંથી 4272 નંગ વિદેશી દારૂની બોટલો (કિંમત ₹55,53,600) અને 1368 નંગ 750 મી.લી.ની બોટલો (કિંમત ₹19,15,200) મળી આવી હતી. આઇસર ટ્રકની કિંમત ₹8,00,000 ગણવામાં આવી છે. આમ, કુલ ₹82,68,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે રોજીવાડાના રવી ભોજાભાઈ કણેત, ઇશ્વરીયાના રાજુ નાથાભાઈ વેસરા, ટ્રકના અજાણ્યા ચાલક અને દારૂનો જથ્થો મોકલનાર અન્ય એક ઇસમ સહિત ચાર લોકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં આ જથ્થો છુપાવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ હવે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 5:59 pm

રાજ્યમાં 518 પોલીસ અધિકારીઓની બદલી:સોમનાથ PI એચ.આર. ગોસ્વામીની સુરત બદલી કરવામાં આવી

ગુજરાત રાજ્યના ગૃહ વિભાગે પોલીસ વિભાગમાં મોટા પાયે બદલીઓ કરી છે. કુલ 518 પોલીસ અધિકારીઓની બદલીના આદેશો બહાર પાડવામાં આવ્યા છે. આ બદલીઓમાં સોમનાથ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એચ.આર. ગોસ્વામીની સુરત ખાતે બદલી કરવામાં આવી છે. પીઆઈ ગોસ્વામીએ ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય સુધી સેવા આપી છે. તેઓ બે વર્ષ સુધી વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવ્યા બાદ, બે મહિના પહેલા જ ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાના આંતરિક આદેશથી સોમનાથ પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યો હતો. વેરાવળ ખાતેના તેમના કાર્યકાળ દરમિયાન, પીઆઈ ગોસ્વામીએ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તથા અનેક ગુનાઓ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય યોગદાન આપ્યું હતું અને વેપારીઓ તથા સમાજના અગ્રણીઓ સાથે સારા સંબંધો જાળવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 5:55 pm

પરિવારના ત્રાસથી નિવૃત્ત PIનો આપઘાત:સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પોલીસબેડામાં મોટો ફેરફાર, રાજ્ય પર ફરી તોળાયું માવઠાનું સંકટ

ચૈત્રી આઠમે શક્તિપીઠોમાં શ્રધ્ધાળુઓની ભીડ ચૈત્રી આઠમે ગુજરાતના શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું..અંબાજી-પાવાગઢ ચોટીલામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શને પહોંચ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી અમદાવાદમાં આજે રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવી..7 અખાડા, 15 ટ્રેકટર અને 12 ઉંટ લારી સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી.. 7 કિમીનો રૂટ પૂર્ણ કરીને દિલ્હી દરવાજા પાસે યાત્રા પૂરી થશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો PM મોદી 31 માર્ચે ગુજરાતના પ્રવાસે આવશે PM નરેન્દ્ર મોદી 31 માર્ચે એક દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે..આ સિવાય ગાંધીનગરમાં જૈન ઇતિહાસને સમર્પિત મ્યુઝિયમની ભેટ આપશે અને ડીસામાં જાહેરસભા સંબોધશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 518 PIની બદલી અને 254 પ્રમોટેડ PIને પોસ્ટિંગ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પોલીસ વિભાગમાં મોટો ફેરબદલ..518 પીઆઈની બદલી કરવામાં આવી.. તો 254 પ્રમોટેડ પીઆઈને પોસ્ટિંગ આપવામાં આવ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નિવૃત્ત PIએ પરિવારના ત્રાસથી ઝેર પીધું અમદાવાદમાં નિવૃત્ત પીઆઈએ પરિવારના ત્રાસથી બોલેરોમાં બેસીને ઝેર પીધું..સ્યુસાઈડ નોટમાં પત્ની જમવાનું ન આપતી હોવાનો અને દીકરો માર મારતો હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માનસિક વિકલાંગ સગીરા પર ગેંગરેપ બોટાદમાં 14 વર્ષની માનિસક વિકલાંગ સગીરા પર ગેંગરેપની ઘટના સામે આવી. છેલ્લા 6 મહિનાથી 9 શખ્સો અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરતા હતા. .પોલીસે આરોપીઓ સામે પોક્સો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નિરંજન શાહ સ્ટેડિયમને વર્ષમાં બીજી વાર મળી ઈન્ટરનેશનલ મેચ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં એક વર્ષમાં બીજી વાર ઇન્ટરનેશનલ મેચ રમાશે .. 22 ડિસેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે અહીં બીજી મેચ રમાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રહેણાંક બિલ્ડિંગમાં ત્રીજા માળે આગ લાગી અમદાવાદના શેલામાં આવેલા સ્કાયસિટી રિવેરા ઇલાઇટ બિલ્ડિંગમાં આગ લાગી. ત્રીજા માળે લાગેલી આગનો ધુમાડો 15માં માળ સુધી ફેલાયો હતો. .ફાયરબ્રિગેડે મહામૂસીબતે આગ પર કાબૂ મેળવ્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 116 કરોડના પોલીસ આવાસનું લોકાર્પણ સુરતમાં 116 કરોડના પોલીસ આવાસનું લોકાર્પણ કરાયું. .આ દરમિયાન પાટીલે હર્ષ સંઘવીને પોલીસકર્મીઓની ડ્યુટી 8 કલાકની કરવા ભલામણ કરી.. તો સંઘવીએ કહ્યું કે દબંગગીરી પોલીસ સ્ટેશન સુધી જ ચાલવી જોઈએ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્ય પર ફરી તોળાયું માવઠાંનું સંકટ 29-30 માર્ચે ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે..6 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 5:55 pm

પોરબંદર મહાનગરપાલિકાનું 2026-27નું બજેટ રજૂ:995 કરોડનું બજેટ, 53.38 કરોડની પુરાંત મંજૂર

પોરબંદર મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2026-27 માટેનું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું છે. વહીવટદાર એસ.ડી. ધાનાણી (આઈ.એ.એસ.)ના અધ્યક્ષસ્થાને તા. 21/03/2026 ના રોજ સ્થાયી સમિતિની બેઠકમાં આ બજેટ રજૂ કરાયું હતું. આ બજેટમાં કુલ રૂ. 9,95,05,57,707/- (લગભગ 995 કરોડ) ની આવક અને રૂ. 9,41,67,72,164/- (લગભગ 941 કરોડ) ના ખર્ચની જોગવાઈ છે, જેમાં રૂ. 53,38,60,543/- (લગભગ 53.38 કરોડ) ની પુરાંત દર્શાવવામાં આવી છે. આ વિકાસલક્ષી બજેટ શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ કામો હાથ ધરવા પર ભાર મૂકે છે. બિનજરૂરી ખર્ચાઓમાં કાપ મૂકીને પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. રસ્તા અને માળખાગત સુવિધા: શહેરમાં રસ્તાઓના વિકાસ માટે કરોડો રૂપિયાના ખર્ચે નવા રસ્તા, રિસર્ફેસિંગ, સીસી રોડ, પેવરબ્લોક અને સ્ટ્રીટલાઈટ લગાવવાની કામગીરી ચાલી રહી છે. શહેરને ધૂળમુક્ત બનાવવા માટે પેવરબ્લોકના કામોને ગતિ આપવામાં આવી રહી છે. બ્યુટીફિકેશન અંતર્ગત બંદર રોડના બગીચાઓનું અપગ્રેડેશન, ચોપાટી ખાતે નવા ગેટ, કમલાનહેરુ ગાર્ડન તથા પેરેડાઈઝ સર્કલનો વિકાસ, સુકાળા તળાવનું સૌંદર્યકરણ અને શહેરમાં ડેકોરેટિવ લાઈટિંગ તથા વોલ પેઈન્ટિંગ જેવી કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદી પાણીના નિકાલ માટે અંદાજે રૂ. 50 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ અને પમ્પિંગ સ્ટેશનો ઉભા કરવામાં આવી રહ્યા છે. આનાથી પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળશે. ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ માટે રૂ. 160 કરોડથી વધુના આયોજન સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ગટર લાઈન અને એસ.ટી.પી. (સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) બનાવવાની પ્રક્રિયા ચાલુ છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત જૂના ઘન કચરાનો નિકાલ અને નવી મશીનરીની ખરીદી પર ભાર મૂકાયો છે. પાણી પુરવઠા ક્ષેત્રે રૂ. 158 કરોડના ખર્ચે નેટવર્ક અપગ્રેડેશન, નવી ટાંકીઓ અને નવા વિસ્તારોમાં પાણીની સુવિધા વધારવા માટેના કામો રાજ્ય સરકારના GUDC દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. સ્ટ્રીટલાઈટ માટે સ્માર્ટ અને એનર્જી એફિશિયન્ટ લાઈટિંગ સાથે સીસીટીવી કેમેરા સ્થાપનાનો સમાવેશ કરતો વિશાળ પ્રોજેક્ટ અંદાજે રૂ. 55 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવ્યો છે. શહેરના હેરીટેજ સંરક્ષણ, શિક્ષણ ક્ષેત્રે મોડર્ન લાઈબ્રેરી, સ્કૂલ બિલ્ડિંગ અને આંગણવાડીના નિર્માણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ ઉપરાંત, જનસુવિધા કેન્દ્રો, પબ્લિક ટોયલેટ અને પરિવહન સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. શહેરના આધુનિકીકરણ, સુવિધાઓના વિસ્તરણ, પ્રવાસન વિકાસ તથા નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને વિવિધ મહત્વાકાંક્ષી યોજનાઓને આ બજેટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 5:51 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:શેલાની સ્કાયસિટી રિવેરા ઇલાઇટ સોસાયટીમાં આગ, નિવૃત્ત PIની પત્ની-દીકરાના ત્રાસથી આત્મહત્યા

દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 5:50 pm

માધવપુર મેળામાં 1458 પોલીસ જવાનો તૈનાત, 140 CCTV થી નજર:27 થી 31 માર્ચ દરમિયાન યોજાશે, સુરક્ષાની સઘન તૈયારીઓ પૂર્ણ

પોરબંદર પોલીસે ભગવાન શ્રી માધવરાયજીના વિવાહ પ્રસંગે યોજાનારા સુપ્રસિદ્ધ 'માધવપુર મેળા-2026' માટે સુરક્ષાની સઘન તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ મેળો 27 માર્ચ 2026 થી 31 માર્ચ 2026 દરમિયાન યોજાશે, જેમાં લાખોની જનમેદની ઉમટવાની શક્યતા છે. મેળા પરિસરને અલગ-અલગ ઝોનમાં વહેંચી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મેળાની સુરક્ષા માટે કુલ 1458 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ બંદોબસ્તમાં 7 DYSP, 18 PI, 78 PSI, 763 ASI/HC/PC, 535 GRD/SRD અને 57 TRB જવાનોનો સમાવેશ થાય છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. સમગ્ર હાઈવે, માધવપુર ગામ, મંદિર પરિસર, ચોપાટી અને પાર્કિંગ સહિતના વિસ્તારોમાં 140 જેટલા CCTV કેમેરા દ્વારા 24 કલાક બાજ નજર રાખવામાં આવશે. મહિલાઓની સુરક્ષા માટે 3 ખાસ શી-ટીમ (SHE-Team) ની નિમણૂક કરાઈ છે. ખિસ્સાકાતરુઓ અને આવારા તત્વો પર નજર રાખવા માટે 3 વિશેષ સર્વેલન્સ ટીમો પણ સતત કાર્યરત રહેશે. મેળા દરમિયાન ટ્રાફિક જામ ન થાય તે માટે માધવપુર પોલીસે રૂટ ડાયવર્ઝન પ્લાન તૈયાર કર્યો છે. પોરબંદરથી માંગરોળ તરફ જતા વાહનો માટે મોચા ગામથી કડછ, બગસરા, ઘોડાદર, સરમા, સામરડા, મેખડી, વાડલા ફાટક થઈ આંજક-આંત્રોલી હાઈવે રોડ પરથી પસાર થવાનું રહેશે. તેવી જ રીતે, માંગરોળથી પોરબંદર-દ્વારકા તરફ જતા વાહનો માટે આંત્રોલી ગામથી આંજક, વાડલા ફાટક થઈ મેખડી, સામરડા, સરમા, ઘોડાદર, બગસરા, કડછ, મોચા થઈ નેશનલ હાઈવે પર જવાનું રહેશે. યાત્રાળુઓની સુવિધા અને સુરક્ષા માટે હેલીપેડ, સ્ટેડિયમ, આનંદ નગરી અને પ્રદર્શન સ્ટોલ જેવા સ્થળોએ પણ અલગ-અલગ પોલીસ ટુકડીઓ તૈનાત રહેશે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 5:35 pm

પરીક્ષાના સુચારુ આયોજનને આખરી ઓપ:સુરતના 28 હજારથી વધુ વિદ્યાર્થીઓ 29 માર્ચના રોજ આપશે પરીક્ષા, શહેરના 145 કેન્દ્રો પર 'ચુસ્ત બંદોબસ્ત'

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ગુજકેટ (GUJCET) 2026ની પરીક્ષા આગામી 29 માર્ચના રોજ યોજાનાર છે. સુરત શહેર અને જિલ્લામાંથી આ વર્ષે રેકોર્ડબ્રેક 28,500થી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી હવે 'એજ્યુકેશન હબ' તરીકે ઉભરી રહ્યું છે ત્યારે સુરત જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાના સુચારુ આયોજન માટે તમામ તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવી છે. સુરતના ઝોન મુજબના 145 કેન્દ્રો પર સીસીટીવી વોચસુરત શહેરમાં ટ્રાફિક અને અંતરને ધ્યાનમાં રાખીને પરીક્ષા કેન્દ્રોનું વિભાજન કરવામાં આવ્યું છે. અડાજણ, વરાછા, કતારગામ અને વેસુ જેવા મુખ્ય વિસ્તારોમાં કુલ 145 પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. દરેક વર્ગખંડમાં સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવશે. સુરત જિલ્લા શિક્ષણાધિકારી (DEO) ના જણાવ્યા અનુસાર, પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ રોકવા માટે સ્પેશિયલ 'સ્ક્વોડ' તૈનાત કરવામાં આવી છે, જે સરપ્રાઈઝ વિઝિટ લેશે. ટ્રાફિક સમસ્યાને જોતા પોલીસનો વિશેષ પ્લાનપરીક્ષાના દિવસે સુરતના વ્યસ્ત વિસ્તારો જેવા કે વરાછા મેઈન રોડ અને રીંગ રોડ પર વિદ્યાર્થીઓને સમયસર પહોંચવામાં તકલીફ ન પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરના અંતરે ઝેરોક્ષ મશીનો બંધ રાખવા અને ભીડ ન કરવા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે, તેઓ કેન્દ્ર પર નિર્ધારિત સમય કરતાં 45 મિનિટ વહેલા પહોંચે. સુરતના વિદ્યાર્થીઓમાં 'એન્જિનિયરિંગ'નો ક્રેઝ વધ્યોઆ વર્ષના ડેટા મુજબ, સુરતમાંથી ગ્રુપ-A (ગણિત) ના વિદ્યાર્થીઓની સંખ્યામાં ગત વર્ષ કરતા 12%નો વધારો જોવા મળ્યો છે. સુરતની ખાનગી અને સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટનું મહત્વ વધી ગયું છે. નિષ્ણાતોના મતે, આ વખતે સુરત સેન્ટરનું પરિણામ રાજ્યના સરેરાશ પરિણામ કરતા ઊંચું રહેવાની ધારણા છે, કારણ કે સ્થાનિક કોચિંગ ઈન્સ્ટિટ્યુટ્સ દ્વારા લેવાયેલી મોક ટેસ્ટમાં વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો છે. હોલ ટિકિટમાં સુરતના સેન્ટરનું એડ્રેસ ચેક કરી લેવુંઘણી વખત સુરતમાં એક જ નામ ધરાવતી બે શાળાઓ અલગ-અલગ વિસ્તારમાં હોવાથી વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાતા હોય છે. બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે કે સુરતના વિદ્યાર્થીઓએ એડમિટ કાર્ડમાં આપેલ 'સ્કૂલ ઇન્ડેક્સ નંબર' અને પૂરેપૂરું સરનામું ગુગલ મેપ્સ પર અગાઉથી ચેક કરી લેવું. જો ફોટો કે સહીમાં ભૂલ હોય તો સુરતની ઝોનલ ઓફિસ (રાયચંદ દીપચંદ ગર્લ્સ હાઈસ્કૂલ, ગોપીપુરા) નો સંપર્ક સાધવાનો રહેશે. કેલ્ક્યુલેટર અને અન્ય સ્ટેશનરી અંગેના નિયમોગુજકેટમાં સાદું કેલ્ક્યુલેટર લઈ જવાની છૂટ છે, પરંતુ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર કે સ્માર્ટ વોચ પર પ્રતિબંધ છે. સુરતના પરીક્ષા કેન્દ્રો પર ગેટ પાસે જ મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ પારદર્શક પાઉચમાં જ પેન અને કેલ્ક્યુલેટર લાવવાનું રહેશે. ઉનાળાની ગરમીને જોતા દરેક કેન્દ્ર પર પીવાના પાણીની અને પ્રાથમિક મેડિકલ કિટની સુવિધા રાખવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ની આરોગ્ય ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 5:32 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પોલીસકર્મીઓની નોકરી 8 કલાકની કરવા પાટીલની ભલામણ, બેડરૂમનો દરવાજો લોક થઈ જતા 2 વર્ષનું બાળક ફસાયું

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 5:30 pm

ચંદ્રુમાણામાં ઝાપડા દાદાની રમેલ યોજાઈ:વિવિધ ગામોના ભુવાજીઓએ લોકદેવીઓનું આવાહન કરી આશીર્વાદ આપ્યા

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના ડેરીવાસ ખાતે બુધવારે રાત્રે શ્રી ઝાપડા દાદાની રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં વિવિધ ગામોના ભુવાજીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઝાપડા દાદા અને અન્ય લોકદેવીઓનું આવાહન કરીને શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપ્યા હતા. ડેરીવાસમાં ઠાકોર પરિવાર દ્વારા શ્રી બ્રહ્માણી માતા, શ્રી મેલડી માતા, શ્રી ગોગા મહારાજ અને શ્રી ઝાપડા દાદાનું મંદિર બનાવવામાં આવ્યું છે. નાગજીભાઈ ડાહયાજીના પરિવારે આ ઝાપડા દાદાની રમેલનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે બ્રહ્માણી માતાના ભુવાજી રમેશજી અને ગાંડાજી, મેલડી માતાના ભુવાજી નરસિંહજી, ગોગા મહારાજના ભુવાજી વજેસંગજી, તેમજ ગામના વિહત માતાના ભુવાજી દિનેશભાઈ ખટાણા સહિત અનેક ભુવાજીઓ હાજર રહ્યા હતા. તેમણે વિવિધ શક્તિઓનું આવાહન કરીને મોટી સંખ્યામાં ઉપસ્થિત ઠાકોર સમાજના શ્રદ્ધાળુઓને સુખ-શાંતિ અને કુશળ ક્ષેમના આશીર્વાદ પાઠવ્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમમાં ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. યજમાન પરિવાર દ્વારા બહારગામથી પધારેલા ભુવાજીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 5:28 pm

ગોડાદરાની એક સોસાયટીના 3 મિત્રો એકસાથે ગુમ:11થી 15 વર્ષના 3 બાળકો રાત્રિના સમયે રમતા-રમતા ગાયબ, છેલ્લે રેલવે સ્ટેશન દેખાયા; પોલીસે CCTV આધારે તપાસ હાથ ધરી

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા ત્રણ માસૂમ મિત્રો એકાએક ગુમ થઈ જવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રાત્રિના સમયે રમતા-રમતા આ ત્રણેય બાળકો ક્યાંક લાપતા થઈ ગયા હતા. પરિવારે મોડી રાત સુધી શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન મળતા આખરે ગોડાદરા પોલીસ મથકમાં અપહરણ અને ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની અનેક ટીમો હાલ આ બાળકોની શોધખોળમાં જોતરાઈ છે. છેલ્લે રેલવે સ્ટેશન દેખાયા છે. સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતા ત્રણેય પાડોશી હોવાની સાથે ગાઢ મિત્રો પણ છે. ગત તારીખ 24/03/2026ના રોજ રાત્રિના અંદાજે 08:45થી 10:00 વાગ્યાના સમયગાળા દરમિયાન ત્રણેય બાળકો સોસાયટીમાં જ રમી રહ્યા હતા. જોકે, લાંબો સમય વીતવા છતાં બાળકો ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ આદરી હતી. રાત આખી સગા-સંબંધીઓ અને આસપાસના વિસ્તારો ફેંદી માર્યા બાદ પણ બાળકોનો કોઈ સુરાગ મળ્યો ન હતો, જેને પગલે પરિવારોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો. સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશન પર પોલીસની નજરઘટનાની જાણ થતા જ ગોડાદરા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે ગુનો નોંધીને અલગ-અલગ ટીમો બનાવી છે. પોલીસ દ્વારા સોસાયટી અને મુખ્ય માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે જેથી જાણી શકાય કે બાળકો કઈ દિશામાં ગયા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ બાળકો હિન્દી ભાષા બોલે છે. પોલીસે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને શહેરના બહાર જવાના રસ્તાઓ પર પણ સતર્કતા વધારી દીધી છે. બાળકો પાસે કોઈ મોબાઈલ ફોન છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલુ છે. ગુમ થયેલા બાળકોનું વર્ણન અને ઓળખપોલીસ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ ત્રણેય બાળકોના દેખાવ અને પહેરવેશ નીચે મુજબ છે: ઉત્તર પ્રદેશના વતની એવા પરિવારો પર આભ તૂટી પડ્યુંગુમ થયેલા બાળકો પૈકી એક બાળકનું મૂળ વતન ઉત્તર પ્રદેશનું ઈટાવા જિલ્લાનું બલાહાર ગામ છે. આ પરિવારો સુરતમાં રોજગારી અર્થે સ્થાયી થયા છે. એકસાથે ત્રણ-ત્રણ દીકરાઓ ગુમ થતા આખી સોસાયટીમાં સન્નાટો વ્યાપી ગયો છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ, ત્રણેય બાળકો સ્વભાવે શાંત હતા અને અગાઉ ક્યારેય પણ કહ્યા વગર ક્યાંય ગયા નહોતા. કોઈ અજાણી વ્યક્તિ તેમને લલચાવી-ફોસલાવીને લઈ ગઈ હોવાની કે પછી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોવાની આશંકાએ વાલીઓના જીવ અદ્ધર કરી દીધા છે. ગોડાદરા પોલીસે લોકોને અપીલ કરી છે કે જો કોઈને પણ આ બાળકો વિશે કોઈ માહિતી મળે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 5:22 pm

ચંદ્રુમાણામાં રામનવમી ઉજવાઈ, રામજી મંદિરમાં અન્નકૂટ યોજાયો:મધ્યાહન આરતી, પ્રસાદ વિતરણ અને ભજન કીર્તન કરાયા

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે શ્રી રામ નવમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ગામમાં ભગવાન શ્રીરામના જય જયકાર ગુંજી ઉઠ્યા હતા. ગામના મધ્યમાં આવેલા શ્રી રામજી મંદિર ખાતે ભગવાન રામચંદ્રજી, લક્ષ્મણજી મહારાજ અને જાનકીજી માતાને નવીન વસ્ત્રો અને ફૂલહારથી સજ્જ કરવામાં આવ્યા હતા. ભગવાનને વિવિધ વાનગીઓનો 56 ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાઈઓ અને બહેનો દ્વારા રામ નામનો જાપ તેમજ ભજન-કીર્તન કરવામાં આવ્યા હતા. બપોરે મધ્યાહન આરતી બાદ અન્નકૂટનો પ્રસાદ વિતરણ કરાયો હતો. ગ્રામજનોએ પોતાના ઘરે પણ ભગવાનને પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવી હતી. જોકે, આ વર્ષે ગામમાં નાની ઉંમરના લોકોના મૃત્યુ થયા હોવાથી પટેલ સમાજ દ્વારા પરંપરાગત રીતે કરવામાં આવતો યજ્ઞ બંધ રાખવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ભગવાનના દર્શન અને વંદન કરી ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 5:09 pm

પાટણમાં ભગવાન શ્રીરામની 39મી રથયાત્રા નીકળી:બાહુબલી હનુમાન, ઝાંખીઓ, શસ્ત્ર કરતબો સાથે 6 કિમી રૂટ પર સ્વાગત

પાટણ શહેરમાં રામનવમી પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને રામ સેવા સમિતિ દ્વારા ભગવાન શ્રીરામની 39મી રથયાત્રાનું આયોજન કરાયું હતું. છીંડિયા દરવાજા સ્થિત રામજી મંદિરથી શરૂ થયેલી આ યાત્રામાં બાહુબલી હનુમાન, અયોધ્યાના રામલલ્લાની આબેહૂબ મૂર્તિ અને વિવિધ વેશભૂષાની ઝાંખીઓ મુખ્ય આકર્ષણ રહી હતી. રામજી મંદિર ખાતે મહાઆરતી બાદ સાધુ-સંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. આ વર્ષે યાત્રામાં બે મુખ્ય રથ જોડવામાં આવ્યા હતા. એક રથમાં અયોધ્યામાં સ્થાપિત ભગવાન રામના બાળ સ્વરૂપની આબેહૂબ મૂર્તિ હતી, જ્યારે બીજા રથમાં રામ, લક્ષ્મણ અને સીતાની મૂર્તિઓ બિરાજમાન હતી. કેસરી સાફામાં સજ્જ સ્વયંસેવકો દ્વારા રથને દોરડાથી ખેંચીને નગર ભ્રમણ કરાવવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં વિવિધ આકર્ષક ઝાંખીઓ અને વેશભૂષા પ્રદર્શિત કરાઈ હતી. જેમાં બાહુબલી હનુમાન અને શિવ-પાર્વતીની વેશભૂષા સાથેની ઝાંખીઓ જોડાઈ હતી. દુર્ગાવાહિનીની 500થી વધુ બહેનોએ તલવાર રાસ રજૂ કર્યો હતો, જ્યારે બજરંગ દળના યુવાનોએ લાઠી દાવના કરતબો દર્શાવ્યા હતા. ડી.જે. અને ધાર્મિક સંગીતના સૂરે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શહેરના અંદાજે 6 કિલોમીટર લાંબા રૂટ પર પરિભ્રમણ દરમિયાન ઠેર-ઠેર ભક્તોએ ભગવાનના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. રથયાત્રાનું શહેરના માર્ગો પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રાના માર્ગ પર વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને યુવક મંડળો દ્વારા સેવા કેમ્પ કાર્યરત કરાયા હતા. યાત્રામાં જોડાયેલા લોકો માટે ઠંડા પાણી, શરબત અને છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં 1 DySP, 4 PI, 8 PSI અને 200 કોન્સ્ટેબલ સહિતનો કાફલો તૈનાત રહ્યો હતો. રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને નિર્ધારિત સ્થળે સંપન્ન બનશે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 4:58 pm

સુરત ગુરુકુલમાં ભક્તિ અને તપનો સંગમ:બ્રહ્મમહોત્સવમાં સાડા ત્રણ કરોડ મંત્રજપના હોમ સાથે હજારો હરિભક્તોએ કર્યા કઠિન ઉપવાસ

સુરતના વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે આયોજિત 'બ્રહ્મમહોત્સવ' અંતર્ગત મહા વિષ્ણુયાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રભુ સ્વામીએ પ્રવચન આપતા જણાવ્યું હતું કે, ગોસ્વામી તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું છે તેમ 'કળિયુગ કેવલ નામ આધારા'. વર્તમાન સમયમાં અલ્પ આયુષ્ય અને ઓછી શ્રદ્ધા ધરાવતા જીવો માટે મોક્ષ મેળવવાનું સૌથી સરળ સાધન ભગવત નામ છે. આ નામનો જાપ ભણેલા-અભણ કે અમીર-ગરીબ કોઈપણ વ્યક્તિ કરી શકે છે. નિત્ય 3.5 કરોડ મંત્રજાપ અને વિષ્ણુયાગસુરત ગુરુકુલ પરિવાર દ્વારા દરરોજ સ્વામિનારાયણ મહામંત્રના 3.5 કરોડ જાપ કરવામાં આવી રહ્યા છે. આ મંત્રજાપના દશાંશ હોમ નિમિત્તે આયોજિત યજ્ઞમાં સંતો, હરિભક્તો અને મહિલાઓએ યજ્ઞ નારાયણને આહુતિઓ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. ચૈત્રી નવરાત્રીમાં ભક્તોનું અદભૂત તપભગવાન સ્વામિનારાયણના 245 માં પ્રાગટ્ય પર્વ નિમિત્તે હજારો ભક્તોએ કઠિન તપસ્યા કરી છે. જેમાં 300 ભક્તોએ નકોરડા ઉપવાસ, 1200 ભક્તોએ રસાહાર, 5000 ભક્તોએ ફલાહાર અને 8000 ભક્તોએ એકટાણા કર્યા હતા. વિશેષ રૂપે, 75 થી વધુ ભાવિકોએ નવ દિવસ સુધી માત્ર ત્રણ કોળિયા ભોજન લઈને તપ કર્યું હતું. ભક્તિના આ માહોલમાં 13000 ભક્તોએ ઘરે પારણા બાંધી ઠાકોરજીને નવ દિવસ સુધી ઝુલાવી પદ પધરાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 4:57 pm

અમરેલી બાદ આજે જામનગરમાં AAPની જનસભા:અરવિંદ કેજરીવાલ, ભગવંત માન સહિતનાઓ જનસભાને સંબોધશે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 24 માર્ચથી ચાર દિવસ સુધી ગુજરાત પ્રવાસે છે. ગતરોજ અમરેલી બાદ આજે જામનગરમાં ભવ્ય ’વિજય વિશ્વાસ સભા’નું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના લાલપુર માર્કેટિંગ યાર્ડ પાસે આ સભા યોજાશે. આ મહત્વપૂર્ણ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વિશેષ ઉપસ્થિત રહેશે. બંને નેતાઓ આજે જામનગરની જનતાને સંબોધિત કરશે અને આગામી ચૂંટણી માટે પક્ષનો પ્રચાર કરશે. આ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પાર્ટીના ઉમેદવારો માટે સમર્થન મેળવવાનો અને મતદારોમાં ઉત્સાહ ભરવાનો છે. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, સહ પ્રભારી ગુલાબ સિંહ યાદવ, આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, ધારાસભ્ય સુધીર વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુ સોલંકી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ પ્રકાશ દોંગા સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે, ગતરોજ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અમરેલીમાં એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેજરીવાલે ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અમરેલીમાં કેજરીવાલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં વિધાનસભાની 48 સીટ છે, તમે ભાજપને 40 સીટ આપી. આનાથી વધારે પ્રેમ શું આપશો. પણ બદલામાં તમને ભાજપે શું આપ્યું? જે ભાજપને તમે 40 સીટ આપી તેજ તમને દંડા મારે છે. તેમજ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં AAPની સરકાર બનાવો, ગુજરાતની દરેક મહિલાના એકાઉન્ટમાં 1-1 હજાર આવવાના શરૂ થઈ જશે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 4:48 pm

બાઇક આઇસર પાછળ ધડાકાભેર અથડાતા ચાલકનું મોત:ખેતીકામ કરતા 50 વર્ષીય આધેડનું પ્રાણપંખેરું ઊડ્યું, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો

વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથકની હદમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ગધેડા માર્કેટ ચાર રસ્તાથી મહાવીર ચાર રસ્તા તરફ જતા માર્ગ પર રોડની સાઇડમાં ઊભેલા આઇસરના પાછળના ભાગમાં બાઇક ધડાકાભેર અથડાતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક આઇસર ટ્રક પાછળ ઘૂસી ગઈઅકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિની ઓળખ મનોજભાઈ અંબાલાલ વસાવા (ઉંમર 50 વર્ષ) તરીકે થઈ છે. તેઓ વડોદરા તાલુકાના કતારપુર ગામના વતની હતા અને ખેતીનો વ્યવસાય કરતા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક આઇસર ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. જેમાં ચાલકને ગંભીર ઇજાઓ પોહચી હતી. પોલીસે અકસ્માતમાં મોતનો ગુનો નોંધ્યોઅકસ્માત થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. બાઇકચાલકને ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો. પાણીગેટ પોલીસે અકસ્માતમાં મોત થયા અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 4:47 pm

ગાંધીનગર પોલીસ તંત્રમાં મોટુ રિશફલિંગ:રાજ્યના પાટનગરના અનુભવી પોલીસ ઈન્સ્પેકટરોની અન્ય જિલ્લામાં વિદાય, સુરત-અમદાવાદથી નવા અધિકારીઓની એન્ટ્રી

ગુજરાત રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવ દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની મોટા પાયે બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે.જેની સીધી અસર ગાંધીનગર જિલ્લાના પોલીસ બેડામાં જોવા મળી રહી છે. ગાંધીનગર જિલ્લામાં લાંબા સમયથી ફરજ બજાવતા અનેક પીઆઈને હવે રાજ્યના અન્ય મહત્વના શહેરો અને જિલ્લાઓમાં કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી સોંપવામાં આવી છે.આ ફેરબદલને પગલે પાટનગરના પોલીસ મથકોમાં ટૂંક સમયમાં નવા ચહેરાઓ કાર્યભાર સંભાળતા જોવા મળશે. ગાંધીનગર જિલ્લામાંથી વિદાય લેનારા અધિકારીઓની વિગતવાર યાદી ગાંધીનગરથી પોલીસ ઇન્સ્પેક્ટર એલ.ડી. ઓડેદરાની સુરત ગ્રામ્ય, જે.પી.જાડેજાની અમદાવાદ સીટી, આર.જે. સિસોદિયાની SCRB, ડી. ડી. ચૌધરીની સીઆઈડી ક્રાઈમ, ડી. બી. ભુરા અને એસ.આર. મૂછાળની નાગરિક સંરક્ષક દળ અમદાવાદ, પી. બી. ચૌહાણ ની ડીજીપી કચેરી, ડી. બી. ડાભીની તાલીમ, આર.આર. પરમારની અમરેલી, ઉન્નતિ પટેલની રા. અ.પો.તા.કેન્દ્ર સોરઠ, એસ. એ. ડાભીની આદિજાતિ વિકાસ, કે. બી. સાંખલાની ડાંગ, રાકેશ ડામોરની મહેસાણા, એ એસ. અસારી અને બી. બી. ગોયલની સાયબર એક્સલન્સ, જી.કે. ભરવાડની નાગરિક સંરક્ષણ અમદાવાદ, વી. આર. ખેરની અમદાવાદ સીટી, એસ.એસ.દેસાઈની પંચમહાલ, પી. જે.ચુડાસમાની ભરૂચ બદલી કરવામાં આવી છે. પોલીસ તંત્રમાં ખાલી પડેલી જગ્યાઓ પર હવે નવા અધિકારીઓની નિયુક્તિઆમ, હવે ગાંધીનગરમાં મહત્વની કામગીરી બજાવનારા આ અધિકારીઓની વિદાયથી જિલ્લા પોલીસ તંત્રમાં ખાલી પડેલી જગ્યાઓ પર હવે નવા પ્રતિભાશાળી અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે.ગાંધીનગર આવનાર પોલીસ ઈન્સ્પેકટરોમાં CID ક્રાઈમમાંથી વી. એ. શાહ, અમદાવાદથી એમ.આર. તબિયર, કરાઈ થી આર. વી. તબિયાડ, ઇન્ટેલિજસમાંથી એન. જી. બારોટ, કચ્છથી એચ.એસ. સોલંકી, બોટાદથી એ. જી. સોલંકી, પોરબંદરથી વી. પી. પરમાર, વલસાડથી એમ.પી. પટેલ, વડોદરાથી વી. એસ. પટેલ, એન. એમ. સોલંકી, સુરતથી એ. એસ. ચૌહાણ ,અમદાવાદથી એચ. એન. પટેલ અને CID ક્રાઈમથી એસ. જી. દેસાઈનો સમાવેશ છે. આગામી દિવસોમાં કયા અધિકારીઓને ચાર્જ સોંપવામાં આવે તેના પર સૌની નજરગાંધીનગરમાં નવા આવનારા અધિકારીઓમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પીઆઈનો સમાવેશ થાય છે. આ નવા અધિકારીઓના આગમનથી ગાંધીનગર જિલ્લામાં ગુનાખોરી નિયંત્રણ અને ખાસ કરીને પાટનગરની સુરક્ષા વ્યવસ્થામાં નવો વળાંક આવવાની શક્યતા છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને પગલે બદલી પામેલા તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી જૂના સ્થળેથી છૂટા થઈને નવા નિમણૂક પામેલા જિલ્લાઓમાં હાજર થવા સૂચના આપવામાં આવી છે. ગાંધીનગર એ રાજ્યનું વડુંમથક હોવાથી અહીં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત સંવેદનશીલ ગણાય છે ત્યારે નવા આવેલા અધિકારીઓ માટે સ્થાનિક ભૌગોલિક સ્થિતિ અને ગુનાખોરીના ટ્રેન્ડને સમજીને કામગીરી કરવી એ એક મોટો પડકાર બની રહેશે. આગામી દિવસોમાં આ અધિકારીઓને કયા પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 4:35 pm

સાવકા પિતાથી ગર્ભવતી બનેલી પીડિતાઓના ગર્ભપાતનો નિર્ણય:માતાની સહમતી બાદ બન્નેને હોસ્પિટલમાં દાખલ કરાઈ; કોર્ટની મંજૂરીની જરૂર નહીં પડે

ગત દિવસોમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી ગામે માનવતાને શરમાવે તેવી અત્યંત હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી હતી. એક નરાધમ સાવકા પિતાએ પોતાની જ બે સગીર પુત્રીઓને હવસનો શિકાર બનાવી ગર્ભવતી કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે અને હવે બંને પીડિત સગીરાઓને ગર્ભપાત માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે તબીબી અને કાયદાકીય કાર્યવાહી નવસારી જિલ્લા આરોગ્ય અધિકારી ભાવેશ પટેલે જણાવ્યું કે, માતાની સહમતીથી બંને સગીરાઓનો ગર્ભપાત કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. કાયદા મુજબ 25 અઠવાડિયાથી ઓછો ગર્ભ હોવાથી કોર્ટની મંજૂરીની જરૂર નથી, તેથી ટૂંક સમયમાં નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ રીતે ખુલાસો થયો હતોઆ શ્રમિક પરિવારની નાની દીકરીને અચાનક પેટમાં દુખાવો ઉપડતા માતા-પિતા તેને કુકેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) લઈ ગયા હતા. ત્યાં તબીબી તપાસ દરમિયાન સગીરા ગર્ભવતી હોવાનું જણાતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. વધુ તપાસ માટે તેને ખારેલની હોસ્પિટલમાં સોનોગ્રાફી માટે લઈ જવામાં આવી, જ્યાં નિષ્ણાતોએ તે 20 અઠવાડિયાનો ગર્ભ ધરાવતી હોવાની પુષ્ટિ કરી હતી. બીજી પુત્રી પણ નીકળી પીડિતજ્યારે માતાએ નાની દીકરીની પૂછપરછ કરી, ત્યારે તેણે રડતા રડતા સાવકા પિતા અનિલ રાઠોડના કાળા કરતૂતોની આપવીતી જણાવી હતી. આ દરમિયાન તેની મોટી બહેન પણ રડતી હોવાથી તેની તપાસ કરાવતા જાણવા મળ્યું કે તે પણ 11 અઠવાડિયાની ગર્ભવતી છે. આમ, એક જ નરાધમ પિતાએ પોતાની બંને દીકરીઓનું શારીરિક શોષણ કર્યું હતું. ધમકી આપી ગુજારતો હતો અત્યાચારબંને સગીરાઓએ જણાવ્યું કે, તેમનો પિતા જંગલમાં લાકડા લેવા જવાના બહાને અથવા રાત્રે પરિવાર સૂઈ જાય ત્યારે તેમની સાથે પરાણે સંબંધ બાંધતો હતો. જો તેઓ કોઈને જાણ કરે તો તેમને અને તેમની માતાને જમવાનું નહીં આપવાની ધમકી આપીને તે મોઢું બંધ રખાવતો હતો. પોલીસ કાર્યવાહીપીડિતોની માતાની ફરિયાદના આધારે ચીખલી પોલીસે આરોપી અનિલ રાઠોડ વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો (POCSO) હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને કાયદેસરની તપાસ તેજ કરી છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 4:28 pm

નવાપરા ફાયરિંગ કેસમાં ફરાર હાલારી બંધુઓ ઝડપાયા:વલી હાલારી અને તોફિક હાલરીને ઝડપી કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના પોલીસ રિમાન્ડ પર

ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. અગાઉથી ફરાર રહેલા બે આરોપી વલી હાલારી અને તેનો ભાઈ તોફિક હાલારીને પોલીસે ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો હુકમ કર્યો છે. ઘટનાના ગણતરીના કલાકોમાં જ 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા મળતી માહિતી મુજબ આ બનાવ તા. 22 માર્ચના રોજ વહેલી સવારે લગભગ 4:30 વાગ્યે બન્યો હતો. નવાપરા વિસ્તારમાં આવેલા ગ્રીન કોમ્પ્લેક્સમાં રહેતા જાહિદ લોંડીયા પર અજાણ્યા શખસોએ રિવોલ્વરથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી હતી. આ મામલે જાહિદ લોંડીયાએ નિલમબાગ પોલીસ મથકે કુલ 8 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને ગણતરીના કલાકોમાં જ 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ફારૂક હુસેનભાઈ મન્સૂરી, કુલદીપ ધીરજભાઈ અગ્રાવત, ચેતન દયાલભાઈ, અસ્વીન ઉર્ફે અલી ગીરધરભાઈ વસાયા, રુદ્ર દયાનંદ પૂજારી અને ફેઝાન ફિરોઝભાઈ બેલીમનો સમાવેશ થાય છે. જોકે, બનાવ બાદ વલી હાલારી અને તોફિક હાલારી પોલીસ પકડથી દૂર રહ્યા હતા. પોલીસે સતત તપાસ અને શોધખોળ ચાલુ રાખી અને ગત રાત્રે બંને ભાઈઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. કોર્ટે પકડાયેલા બંને ભાઈઓને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો હુકમ કર્યોઆજે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેને કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પોલીસ હવે રિમાન્ડ દરમિયાન વધુ તપાસ હાથ ધરી કેસ સંબંધિત વધુ વિગતો બહાર લાવવાનો પ્રયાસ કરશે. આ બનાવને લઈને શહેરમાં લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો, ત્યારે આરોપીઓની ધરપકડ બાદ થોડો રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે જણાવ્યું છે કે કેસની તપાસ હજી ચાલુ છે અને આવનાર સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 4:28 pm

વલસાડમાં 44 લાખનો વિદેશી દારૂ પકડાયો:સોયાબીનની આડમાં દારૂની હેરાફેરી, હરિયાણાના બે શખ્સોની ધરપકડ

વલસાડ જિલ્લામાં દારૂબંધીના અમલ માટે એલસીબી (LCB) ટીમે મોટી કાર્યવાહી કરી છે. ઉમરગામના વલવાડા ઓવરબ્રિજ પાસે નેશનલ હાઈવે પરથી સોયાબીનની આડમાં લઈ જવાતો રૂ. 44.03 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે દારૂ, ટેમ્પો અને મોબાઈલ સહિત કુલ રૂ. 56.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં હરિયાણાના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલ વિવેક ગઢવીને મળેલી બાતમીના આધારે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન મરૂન કલરનો એક આઈસર ટેમ્પો અટકાવી તપાસ કરવામાં આવી હતી. ટેમ્પોમાં ઉપર સોયાબીનની 275 પ્લાસ્ટિકની ગુણીઓ ભરેલી હતી, જે હટાવતા નીચેથી વિદેશી દારૂ અને વ્હિસ્કીના 337 કાર્ટન (કુલ 11,856 બોટલ) મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી બે શખ્સોને ઝડપી પાડ્યા છે, જે બંને હરિયાણાના રહેવાસી છે. તેમની ઓળખ સુમેર ભવાનીસિંહ શ્રીરામ (ઉંમર 33, રહે. ભિવાની ખેડા, હરિયાણા) અને અનીલ સત્યવાન માથુર (ઉંમર 32, રહે. મોડાપત્તી, જીંદ, હરિયાણા) તરીકે થઈ છે. આ દારૂનો જથ્થો મોકલનાર અજય ગુપ્તા અને તેના એક સાગરિતને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. તેમની ધરપકડ માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે કુલ રૂ. 56,57,975નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં રૂ. 44,03,808 ની કિંમતની 11,856 બોટલ વિદેશી દારૂ/વ્હિસ્કી, રૂ. 7,00,000 ની કિંમતનો આઈસર ટેમ્પો, રૂ. 5,34,167 ની કિંમતની 275 નંગ સોયાબીનની ગુણીઓ અને રૂ. 10,000 ની કિંમતના બે મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 4:25 pm

રેલવે યાર્ડમાં ખલાસીને કરંટ લાગતા સારવાર દરમિયાન મોત:રેલવેએ પરિવારને આર્થિક મદદની જાહેરાત કરી, પરિવારના સભ્યને નોકરી પણ અપાશે

વડોદરાના કરચિયા રેલવે યાર્ડમાં ફરજ દરમિયાન એક રેલવે કર્મચારીને થોડાક દિવસ અગાઉ અચાનક વીજળીનો જોરદાર કરંટ લાગ્યો હતો. આ અકસ્માતમાં કર્મચારી ગૌતમ સોલંકીની હાલત અત્યંત નાજુક હતી અને ખાનગી ખાનગી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો હતો. જેનું આખરે સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અચાનક વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતાગૌતમ સોલંકી રેલવેમાં ખલાસી તરીકે કામગીરી કરતો હતો અને તેઓ કરચિયા યાર્ડમાં પોતાની નિયમિત ડ્યુટી બજાવી રહ્યા હતા ત્યારે અચાનક વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટના બનતાં જ તાત્કાલિક તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પરિવારના સભ્યને નોકરી આપવાની પણ વાત કરી આ ઘટનાથી પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો. હોસ્પિટલ પરિસરમાં પરિવારના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો અને રેલવે વહીવટીતંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા. જોકે, રેલવે અધિકારીઓએ પરિવારની સાથે રહ્યા હતા અને સારવાર દરમિયાન મોત થતા પરિવારને આર્થિક મદદ અંગેની વાત કરી છે. આ સાથે પરિવારના સભ્યને નોકરી આપવાની પણ વાત કરી છે. મૃતક યુવકના મૃતદેહનું ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. મૃત્યદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 4:22 pm

ભરૂચમાં તાપમાન 39 ડિગ્રીએ પહોંચ્યું:ગરમીનો પ્રકોપ વધ્યો, જનજીવન પ્રભાવિત થયું, બપોરના સમયે રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી

ભરૂચ જિલ્લામાં વાવાઝોડા અને કમોસમી વરસાદ બાદ ફરી ગરમીનો પ્રકોપ વધ્યો છે. હાલ જિલ્લામાં તાપમાન આશરે 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. બપોરના સમયે રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી રહી છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ જિલ્લામાં ભારે ગરમી અનુભવાઈ હતી. જોકે, હવામાન વિભાગની આગાહી મુજબ અઠવાડિયા પહેલા ફૂંકાયેલા વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી, જે રાહત માત્ર થોડા દિવસો પૂરતી જ મર્યાદિત રહી. ગરમીથી બચવા માટે શહેરમાં ઠંડા પીણાં, શેરડીનો રસ અને બરફની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. લોકો સૂર્યપ્રકાશથી બચવા માટે માથે ટોપી, આંખે ચશ્મા અને મોઢે માસ્ક કે રૂમાલનો ઉપયોગ કરી રહ્યા છે. મહિલાઓ પણ મોઢા પર ઓઢણી અથવા માસ્ક બાંધીને બહાર નીકળતી જોવા મળે છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા પણ લોકોને બપોરના તડકામાં બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 4:20 pm

ઉમરેઠ પેટાચૂંટણી, 612 EVMનું પ્રથમ તબક્કાનું ચેકિંગ પૂર્ણ:રાજકીય પક્ષોની હાજરીમાં આણંદમાં તૈયારીઓ તેજ, અધિકારીઓએ નિરીક્ષણ કર્યું

ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. 23મી એપ્રિલે યોજાનારી આ ચૂંટણી માટે આણંદ-સોજીત્રા રોડ સ્થિત EVM વેરહાઉસ ખાતે મશીનોના પ્રથમ તબક્કાનું ચેકિંગ (FLC) પૂર્ણ થયું છે. આ પ્રક્રિયા 23મી માર્ચથી શરૂ કરવામાં આવી હતી. ઉમરેઠ વિધાનસભા વિસ્તારના કુલ 306 મતદાન મથકો માટે 306 મુખ્ય અને 306 વધારાના મળીને કુલ 612 EVM તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ તમામ મશીનોનું પ્રથમ તબક્કાનું ચેકિંગ નિયમ મુજબ હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્ય ચૂંટણી પંચના સંયુક્ત નિર્વાચન અધિકારી અને EVM નોડલ ઓફિસર ડી.આર. ભામરએ રવિવારે રૂબરૂ વેરહાઉસની મુલાકાત લીધી હતી. તેમણે ચાલી રહેલી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુનએ ટેકનિકલ ચેકિંગની વિગતવાર માહિતી પૂરી પાડી હતી. ચૂંટણી પંચની પારદર્શક નીતિ અનુસાર, આ સમગ્ર ચેકિંગ પ્રક્રિયા વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની પ્રત્યક્ષ હાજરીમાં કરવામાં આવી હતી. સંયુક્ત નિર્વાચન અધિકારીએ હાજર રહેલા રાજકીય પક્ષના અગ્રણીઓ સાથે મશીનોની સુરક્ષા અને તપાસ પ્રક્રિયા અંગે સંવાદ કર્યો હતો. રાજકીય પક્ષોના તમામ પ્રતિનિધિઓએ આ પ્રક્રિયા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. વહીવટી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આગામી પેટાચૂંટણી સંપૂર્ણપણે નિષ્પક્ષ અને ટેકનિકલ ક્ષતિ રહિત યોજાય તે માટે તમામ સ્તરે કડક અમલવારી કરવામાં આવી રહી છે. હાલમાં એન્જિનિયરોની ટીમ દ્વારા દરેક મશીનની કાર્યક્ષમતા ચકાસવાની કામગીરી અંતિમ તબક્કામાં છે, ત્યારબાદ આ મશીનોને સુરક્ષિત રીતે સીલ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 4:19 pm

ડભોલી-જહાંગીરપુરા બ્રિજ 'ક્રિકેટ ગ્રાઉન્ડ' બન્યું:મેન્ટેનન્સ માટે બ્રિજ બંધ થતાં રાત્રે વોકિંગ ટ્રેક અને પોળ જેવો માહોલ, લાંબુ ન ફરવું પડે તે માટે લોકો રોંગ સાઈડમાં હંકારે છે વાહનો

સુરત શહેર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જાણીતું છે, ત્યાં હાલ એક અનોખો નજારો જોવા મળી રહ્યો છે. તાપી નદી પર ડભોલી અને જહાંગીરપુરાને જોડતો બ્રિજ હાલ વાહનોના ઘોંઘાટને બદલે બેટ-બોલના અવાજ અને બાળકોના કિલકિલાટથી ગુંજી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા બ્રિજના મેન્ટેનન્સ માટે બંધ કરવાના નિર્ણય બાદ આ બ્રિજ જાણે 'પ્લે ગ્રાઉન્ડ'માં ફેરવાઈ ગયો છે. બ્રિજના રિપેરિંગ માટે વાહનો માટે એક સાઈડ સંપૂર્ણ બંધ કરી દેવાઈસુરતની ટ્રાફિક સમસ્યાને હળવી કરવામાં ડભોલી-જહાંગીરપુરા બ્રિજની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી બ્રિજની સપાટી પરના 'વેરીંગ કોટ' માં ઘસારો જોવા મળ્યો હતો. સુરત મહાનગરપાલિકાના બ્રિજ સેલ દ્વારા ટેકનિકલ તપાસ બાદ જાણવા મળ્યું હતું કે, જો સમયસર આ સ્તરનું સમારકામ કરવામાં ન આવે, તો બ્રિજના મુખ્ય સ્ટ્રક્ચરને નુકસાન થઈ શકે છે. આથી, જનહિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તારીખ 11 ફેબ્રુઆરી 2026થી આ બ્રિજને તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે એક સાઈડ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા આ કામગીરી માટે 78 દિવસનો સમયગાળો નિર્ધારિત કરવામાં આવ્યો છે. જો બધું જ આયોજન મુજબ ચાલશે, તો 30 એપ્રિલ 2026 સુધીમાં બ્રિજ ફરીથી જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. રાત પડે ને બ્રિજ ચોપાટીમાં ફેરવાય તેવો જામે છે માહોલબ્રિજ બંધ થતાની સાથે જ એક તરફ વાહનચાલકો માટે ડાયવર્ઝનની સમસ્યા ઊભી થઈ છે, તો બીજી તરફ આસપાસના રહીશો માટે આ બ્રિજ જાણે ફરવા માટેની ચોપાટી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે સાંજે 9:00 વાગ્યા પછી અહીં લોકોની ભારે ભીડ જામે છે અને બાળકો ક્રિકેટર રમી રહ્યા છે જ્યારે વડીલો ખુલ્લી હવાની મોજ માણી રહ્યા છે. સાંજના આઠ વાગ્યા પછી ડભોલી અને જહાંગીરપુરા બંને છેડેથી યુવાનોની ટોળકીઓ સ્ટમ્પ અને બેટ લઈને બ્રિજ પર ઉતરી આવે છે. બ્રિજના લાંબા સ્પાન પર એક સાથે 10થી 15 ક્રિકેટની મેચો ચાલતી હોય તેવા દ્રશ્યો સામાન્ય બન્યા છે. BRTS કોરિડોર જાણે ક્રિકેટનું મેદાન હોય તેવો નજારોસુરતની શાન ગણાતી BRTS લેન, જ્યાં બસો દોડતી હતી, ત્યાં હવે નાના બાળકો ક્રિકેટ રમી રહ્યા છે. BRTS કોરિડોર જાણે ક્રિકેટનું મેદાન હોય તેમ બાળકો ક્રિકેટ રમી રહ્યા છે. ગંભીર બાબત એ છે કે તે દડો ફેંકતા રોડ પર જાય છે અને અનેક કાર સાથે અથડાય છે, કોઈ બાઈક સાથે અથડાય છે અને બાળકો આ કોરીડોર કૂદીને બોલ લેવા જાય છે. જો કોઈ દુર્ઘટના સર્જાશે તો તેના જવાબદાર કોણ રહેશે તે પણ એક સવાલ છે. વડીલો અને મહિલાઓ રાતે બ્રિજ પર ટહેલવા નીકળે છેઆ માત્ર રમતગમત પૂરતું મર્યાદિત નથી. આસપાસની સોસાયટીઓના વડીલો અને મહિલાઓ પણ રાત્રિના સમયે બ્રિજ પર ટહેલવા નીકળે છે. ઠંડા પવનની લહેરખીઓ વચ્ચે લોકો બ્રિજ પર જ બેસીને નાસ્તો કરતા અને ગપ્પાં મારતા જોવા મળે છે. જાણે આ બ્રિજ કોઈ રિવરફ્રન્ટ ગાર્ડન હોય તેવો અહેસાસ સ્થાનિકોને થઈ રહ્યો છે. ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન માટે 78 દિવસ પડકારજનકએક તરફ જ્યારે લોકો આ સ્થિતિનો આનંદ માણી રહ્યા છે, ત્યારે બીજી તરફ ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આ 78 દિવસ પડકારજનક છે. આ બ્રિજની એક સાઈટ ચાલુ હોવાથી રાત્રિના સમયે રોંગ સાઈડમાં વાહન ચાલકો આવી રહ્યા છે. લાંબુ ફરવા ન જવું પડે તેથી વાહનચાલક આ બ્રિજ પર રોંગ સાઈડમાં આવી રહ્યા છે, લોકો અહીં બેસી રહ્યા છે ત્યારે રાત્રિના સમયે અહીં રોંગ સાઈડમાંથી આવતા વાહનોને કારણે અકસ્માત થવાનો ભય રહે છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 4:18 pm

રાજુલા પોલીસે સાયબર ફ્રોડના આરોપીને ઝડપ્યો:અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી ઇન્દોરથી આરોપીને દબોચ્યો

અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઈમના વધતા બનાવો વચ્ચે રાજુલા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના અને ASP જયવીર ગઢવીના સીધા સુપરવિઝન હેઠળ, રાજુલા પોલીસે સાયબર ફ્રોડના એક અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી ઝડપી પાડ્યો છે. રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ સાયબર ફ્રોડ કેસમાં, ફરિયાદીને 'જાનવી' નામની મહિલાએ મોબાઈલ નંબર દ્વારા સંપર્ક કર્યો હતો. તેણે શેર માર્કેટમાં નફો કરાવવાની લાલચ આપી હતી. ત્યારબાદ 'અભિષેક શર્મા' નામના વ્યક્તિએ નુકસાન થયેલી રકમ પાછી અપાવવાની ખાતરી આપી, ક્રિપ્ટોકરન્સી એકાઉન્ટ બનાવડાવ્યું હતું. QR કોડ મારફતે વિવિધ ટ્રાન્ઝેક્શન કરાવી કુલ રૂ. 75,800ની છેતરપિંડી આચરવામાં આવી હતી. ફરિયાદીને છેતરપિંડીની જાણ થતાં તેણે તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરી અરજી નોંધાવી હતી. ત્યારબાદ રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજુલા પીઆઈ વિજય કોલાદરાના માર્ગદર્શન હેઠળ રચાયેલી ટીમે ટેક્નિકલ એનાલિસિસ, બેંક ટ્રાન્ઝેક્શનની તપાસ અને ATMના CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી હતી. વધુ તપાસ દરમિયાન, પોલીસે આરોપી અંશુમન કમલેશકુમાર તંવર (રહે. ઇન્દોર, મધ્યપ્રદેશ)ને મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી ઝડપી પાડ્યો હતો. આ કામગીરીમાં રાજુલા પોલીસ સ્ટેશનના પી.આઈ વિજય કોલાદરા, PSI આર.એલ. રાઠોડ તથા સર્વેલન્સ ટીમના એ.એસ.આઈ. મધુ પોપટ, એ.એસ.આઈ. બહાદુર વાળ, હરપાલસિંહ ગોહિલ, હરેશ વાળા, મનુ માંગાણી, સુરેશ મેર, એ.એસ.આઈ. હરેશ કવાડ, ચંદ્રેશ કવાડ, રામ ભમ્મર તથા પૃથ્વીરાજસિંહ ચાવડાએ સફળતાપૂર્વક યોગદાન આપ્યું હતું. રાજુલા પોલીસે નાગરિકોને સાવચેત રહેવા અને અજાણ્યા લોકોની લાલચમાં આવી કોઈપણ પ્રકારના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ન કરવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 4:16 pm

વાંસદાના સરા ગામે જવાન સન્માનમાં હોબાળો:ધર્માંતરણના આક્ષેપ સાથે 5 હજાર લોકો ઉમટ્યા, પોલીસ તપાસ શરૂ

વાંસદા તાલુકાના સરા ગામે મંગળવારે રાત્રે એક સેનાના જવાનના નિવૃત્તિ સન્માન સમારોહમાં ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો થયો હતો. સ્થાનિક ગ્રામજનો અને હિન્દુ સંગઠનોએ આ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. આ મામલે વાંસદા પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી જવાબદારો સામે કાર્યવાહીની માગ કરાઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મંગળવારે સાંજે 6 થી 11 વાગ્યા દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમ માટે કોઈ સત્તાવાર વહીવટી મંજૂરી લેવામાં આવી ન હતી. આયોજનમાં અચાનક મહારાષ્ટ્રથી પાસ્ટરને બોલાવી ધાર્મિક પ્રવચન શરૂ કરાતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. હિન્દુ સંગઠનોએ જણાવ્યું કે, નિવૃત્તિ કાર્યક્રમમાં સામાન્ય રીતે સ્નેહમિલન અને ભોજન હોય છે, પરંતુ અહીં ધાર્મિક પ્રચારનો એજન્ડા સ્પષ્ટ દેખાતો હતો. હિન્દુ સંગઠનના અગ્રણી અશ્વિનભાઈ બારોટે આક્ષેપ કર્યો હતો કે, જવાનની દેશસેવા માટે અમને ગૌરવ છે, પરંતુ આ કાર્યક્રમમાં 4થી 5 હજાર ગરીબ આદિવાસીઓને એકત્ર કરીને ધર્માંતરણનું મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું કે તાપી જિલ્લાની જેમ હવે નવસારીના અંતરિયાળ ગામોમાં પણ આવી પ્રવૃત્તિઓ વધી રહી છે, જેના પર પ્રશાસને ધ્યાન આપવું જોઈએ. પોલીસને અપાયેલી અરજીમાં સરા ઉપરાંત ધરમપુરી, કેવડી, ખરજઇ, કુકડા અને મહુવાસ જેવા આસપાસના ગામોનો ઉલ્લેખ છે. આ મામલે પ્રતિક્રિયા આપતાં ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, આદિવાસીઓ જન્મથી જ આદિવાસી છે, કોઈ ધર્મથી નહીં. બંધારણના આર્ટિકલ 25 મુજબ અનામતનો લાભ જન્મના આધારે મળે છે. અમે પ્રકૃતિ પૂજક છીએ અને અમારી પોતાની સંસ્કૃતિ છે. પ્રાર્થના કરવી એ કોઈ પાપ નથી, તે દિવસે પણ માત્ર પ્રાર્થના જ થઈ રહી હતી. તેમણે ઉમેર્યું કે, મોહનભાઈ કોકણીની વાત સાચી છે, આદિવાસી અસ્મિતા અને રીત-રિવાજો સર્વોપરી છે અને આદિવાસીત્વ એ કોઈ ધર્મનું મહોતાજ નથી. જે.વી.ચાવડા, પી.આઈ., વાંસદાએ જણાવ્યું હતું કે, ધર્માંતરણની ફરિયાદ મળતા જ અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આયોજકો અને પાસ્ટરની પૂછપરછ કરી હતી. પ્રાથમિક તપાસમાં ધર્માંતરણના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી, પરંતુ ગ્રામજનોની અરજી સ્વીકારીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ ગામમાં શાંતિપૂર્ણ માહોલ છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 3:56 pm

ગુજરાતમાં વહીવટી ખામીઓનો મોટો ખુલાસો:પોલીસ સત્તાના દુરુપયોગની 324 ઘટના, અમદાવાદમાં સૌથી વધુ; તલાટી-કમ મંત્રીની 4151 જગ્યા ખાલી

2024-25ના સરકારી આંકડાઓમાં ગુજરાતના વહીવટી તંત્રની અનેક ખામીઓ સામે આવી છે. પોલીસ દ્વારા સત્તાનો દુરુપયોગ થયાની 324 ઘટનાઓ નોંધાઈ છે, જ્યારે તલાટી-કમ-મંત્રીના મહેકમમાં 4,151 જગ્યાઓ ખાલી છે અને મોટાભાગે વધારાના ચાર્જથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે “નલ સે જલ” યોજનામાં 20 જિલ્લામાં ગેરરીતિની 54 ફરિયાદો સામે આવી છે. બીજી તરફ સરકાર એક્સટેન્શન ઘટાડીને નવી ભરતી પર ભાર મૂકી રહી છે, છતાં તંત્રમાં ખામી અને ગેરવ્યવસ્થાના પ્રશ્નો યથાવત્ જોવા મળી રહ્યા છે. પોલીસે સત્તાનો દુરુપયોગ કર્યાની રાજ્યમાં 324 ઘટના, અમદાવાદમાં સૌથી વધુવર્ષ 2024-25ના આંકડાઓ મુજબ, ગુજરાતમાં પોલીસ દ્વારા સત્તાનો દુરુપયોગ થયાની કુલ 324 ઘટનાઓ સામે આવી છે, જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કુલ 66 કેસોમાં પોલીસ પર સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ નોંધાયો છે. બીજા ક્રમે સુરતમાં 24 ઘટનાઓ સામે આવી છે. આ આંકડાઓ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંદર્ભે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે અને પોલીસની જવાબદારી તેમજ પારદર્શિતાને લઈને ચર્ચા તેજ બની છે. તલાટી-કમ-મંત્રીમાં ખાલી જગ્યાઓનો ઢગલો, 4151 જગ્યા ખાલીરાજ્યમાં તલાટી-કમ-મંત્રીના મહેકમ માટે મંજૂર કુલ 11,705 જગ્યાઓ સામે 7,554 જગ્યા ભરાયેલી છે, જ્યારે 4,151 જગ્યા ખાલી છે. તેમાંથી 4,104 જગ્યાઓ પર વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે, જે કુલ ખાલી જગ્યાઓના 98.86% થાય છે. એટલે કે માત્ર 47 જગ્યાઓ જ એવી છે, જ્યાં વધારાનો ચાર્જ નથી. જિલ્લાવાર આંકડાઓમાં વડોદરામાં સૌથી વધુ 249 જગ્યા ખાલી છે, જ્યારે અમરેલીમાં 237 ખાલી જગ્યાઓ સાથે બીજા ક્રમે છે. દર 100 મંજૂર જગ્યામાંથી સરેરાશ 35 જગ્યા ખાલી રહેતી હોવાની હકીકત વહીવટી તંત્ર માટે ચિંતાજનક છે. આ મુદ્દો દાંતા MLAના સવાલમાં સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. એક્સટેન્શન ઘટાડા તરફ સરકારનો ઝોક, નવી ભરતી પર ભારરાજ્ય સરકારે નિવૃત્ત અધિકારીઓને એક્સટેન્શન આપવાના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે અને નવી ભરતી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વર્ષ 2022-23માં કુલ 129 અધિકારીઓને એક્સટેન્શન આપવામાં આવ્યા હતા, જે 2023-24માં ઘટીને 73 થયા અને 2024-25માં માત્ર 35 રહ્યા છે. ગૃહ વિભાગમાં 2022-23માં 43 એક્સટેન્શન આપવામાં આવ્યા હતા, જ્યારે 2024-25માં તે ઘટીને માત્ર 9 રહ્યા છે. આ ઉપરાંત જળ સંપત્તિ, માર્ગ-મકાન અને અન્ય વિભાગોમાં પણ એક્સટેન્શનના આંકડામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સરકાર હવે નિવૃત્તિ કરતાં નવા મહેકમ ઉભા કરવાની દિશામાં આગળ વધી રહી છે. નલ સે જલ યોજનામાં ગેરરીતિ: 20 જિલ્લામાં 54 ફરિયાદ“નલ સે જલ” યોજનામાં વર્ષ 2024-25 દરમિયાન કુલ 20 જિલ્લાઓમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર સંબંધિત 54 ફરિયાદો નોંધાઈ છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ 10 ફરિયાદો નોંધાઈ છે, જ્યાં 62.21 લાખની ગ્રાન્ટ સામે 220.54 લાખનો ખર્ચ નોંધાયો છે, જે ગ્રાન્ટ કરતાં લગભગ 3.5 ગણો વધુ છે. કુલ 10,590.60 લાખની ગ્રાન્ટમાંથી 55% ફાળવણી મહીસાગર જિલ્લામાં કરવામાં આવી છે. જ્યારે 4 જિલ્લાઓ જેમ કે, જામનગર, ડાંગ, આણંદ અને પોરબંદરમાં કોઈ ગ્રાન્ટ ફાળવાઈ નથી. પંચમહાલ જિલ્લામાં 140 લાખની ગ્રાન્ટ વપરાયા વગર રહી ગઈ છે. આ તમામ આંકડાઓ યોજનાની અમલવારી અને મોનિટરિંગ સિસ્ટમ પર ગંભીર સવાલો ઉભા કરે છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 3:54 pm

સુરક્ષા કર્મચારીઓ માટે વિશેષ રાષ્ટ્રીય અભિયાન:વરાછામાં 240 થી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનોએ રાજયોગ દ્વારા મેળવી માનસિક શાંતિ

બ્રહ્માકુમારીઝના સિક્યુરિટી સર્વિસ પ્રભાગ દ્વારા સુરક્ષા કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય અને આંતરિક સશક્તિકરણ માટે એક વિશેષ રાષ્ટ્રીય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કડી અંતર્ગત 25 માર્ચ 2026, બુધવારના રોજ વરાછા સેવાકેન્દ્ર ખાતે સુરત શહેર પોલીસ અને જિલ્લા હોમગાર્ડના અધિકારીઓ માટે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં વરાછા સેવાકેન્દ્રના સંચાલિકા બીકે તૃપ્તિબેને સૌનું શબ્દ સુમનથી ભાવભીનું સ્વાગત કર્યું હતું. મહાનુભાવોની ઉપસ્થિતિ અને સન્માનઆ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે DCP ઝોન-1 આલોકકુમાર, ACP-A ડિવિઝન વી આર પટેલ, સુરત જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ પ્રફુલભાઈ શિરોયા, પૂર્વ DySP વિનય ભાઈ શુક્લા, પ્રોફેસર ઈ.વી. સ્વામીનાથન, બીકે તૃપ્તિબેન અને બીકે દિપકભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પધારેલા તમામ અતિથિઓને પવિત્ર ખેસ અને પરમાત્માની સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મેડિટેશન: સુખદ જીવનની માસ્ટર કીમુખ્ય વક્તા મોટીવેશનલ સ્પીકર ડૉ. ઈ.વી. સ્વામીનાથનભાઈએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં માનસિક સ્વાસ્થ્ય જાળવવા તણાવનું વ્યવસ્થાપન અનિવાર્ય છે અને મેડિટેશન તેની 'માસ્ટર કી' છે. તેમણે ભાર પૂર્વક કહ્યું કે જો આપણે આંતરિક રીતે સશક્ત બનીશું તો જ રાષ્ટ્રને સશક્ત બનાવી શકીશું. આ તકે બીકે અસ્મિતાબેને સૌને રાજયોગની ગહન અનુભૂતિ કરાવી હતી. વિવિધ સ્થળોએ જનજાગૃતિનો વ્યાપઆ કાર્યક્રમમાં 90 જેટલા પોલીસ અધિકારીઓ અને 150 થી વધુ હોમગાર્ડ જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ અભિયાન માત્ર વરાછા પૂરતું મર્યાદિત ન રહેતા, સુરત જિલ્લાના વિવિધ સ્થળો જેવા કે કામરેજ (SRP કેમ્પ), માંડવી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ, કડોદરા હોમગાર્ડ યુનિટ, ECHS-નાનપુરા, CISF કવાસ અને સુરત એરપોર્ટ પર પણ સુરક્ષાકર્મીઓ માટે સફળતાપૂર્વક યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ પવિત્ર બ્રહ્મા ભોજનનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 3:49 pm

રાજકોટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે જામશે ક્રિકેટ જંગ:22 ડિસેમ્બરે નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં T20 ઇન્ટરનેશનલ સીરિઝની પ્રથમ મેચ રમાશે

રાજકોટમાં 11 મહિના બાદ ફરી જામશે ક્રિકેટનો જંગ. કારણ કે, રાજકોટના ખંઢેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઇન્ટરનેશનલ મેચ માટે જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 સીરિઝની શરૂઆત રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતેથી થવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે 14 જાન્યુઆરી 2026ના રોજ રાજકોટમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન ડે મેચ યોજાઈ હતી, જેમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. 22 ડિસેમ્બરે રાજકોટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 મેચBCCI દ્વારા જાહેર કરેલા શિડ્યુલ મુજબ શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે અને તેમાં ભારત અને શ્રીલંકા વચ્ચે 3 વનડે અને 3 ટી-20 મેચ રમાવાની છે. વન ડે મેચની સીરિઝની શરૂઆત 13 ડિસેમ્બર 2026ના દિલ્હી ખાતેથી કરવામાં આવશે અને 19 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં વન ડે સીરિઝની ત્રીજી અને ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. ત્યાર બાદ ટી-20 સીરિઝની પ્રથમ મેચ આગામી તારીખ 22 ડિસેમ્બરના રોજ સાંજે 7 વાગ્યે રાજકોટના ખંઢેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે. અત્યાર સુધીમાં નિરંજન શાહ સ્ટેડિયમમાં 14 ઇન્ટરનેશનલ મેચ રમાઈઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજકોટનાં નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કુલ 14 ઇન્ટરનેશનલ મેચ રમાઈ છે. જેમાં 3 ટેસ્ટ, 6 ટી-20 અને 5 વન ડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જાન્યુઆરી 2025માં પ્રથમ વખત ભારતની વુમન્સ ટીમ પણ રાજકોટની મહેમાન બની હતી અને નવેમ્બર 2025માં ભારત-A અને દક્ષિણ આફ્રિકા-A ટીમ પણ રાજકોટની મહેમાન બની હતી અને 3 વનડે મેચની સીરિઝ નિરંજન શાહ સ્ટેડિયમમાં રમી હતી.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 3:32 pm

ગોધરા-દાહોદ હાઈવે પર બે ST બસ વચ્ચે અકસ્માત:પૂરઝડપે આવી રહેલી ઝાલોદ-સુરત રૂટની બસે અન્ય બસને ટક્કર મારી, 15થી વધુ મુસાફરોને સામાન્ય ઈજા

ગોધરા-દાહોદ હાઈવે પર ચંચેલાવના કેવડિયા ગામ પાસે બે એસ.ટી. બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 15થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદથી તારાપુર તરફ જઈ રહેલી એક એસ.ટી. બસ ચંચેલાવ નજીક કેવડિયા પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલી ઝાલોદ-સુરત રૂટની અન્ય એક એસ.ટી. બસે તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતની જાણ થતાં જ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્ત મુસાફરોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે એસ.ટી. વિભાગના અધિકારીઓની ટીમ પણ ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. તેઓ દ્વારા ઈજાગ્રસ્ત મુસાફરોને જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. તાલુકા પોલીસે આ સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 3:31 pm

મોરબી જલારામધામમાં રામનવમીની ઉજવણી:ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદ યોજાયા

મોરબીના જલારામ ધામ ખાતે રામનવમી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ભગવાન શ્રી રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સનાતન હિન્દુ ધર્મના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે શ્રી જલારામ સેવા મંડળ, મોરબી દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ અંતર્ગત સૌપ્રથમ પ્રભુ શ્રી રામનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોરે 12 કલાકે મહાઆરતી યોજાઈ હતી અને અંતે ફરાળ મહાપ્રસાદનું વિતરણ કરાયું હતું. આ ધાર્મિક પ્રસંગે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મહામંત્રી તપનભાઈ દવે તેમજ નિર્મલભાઇ જારીયા સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે અનેક સામાજિક અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને જલારામ ધામ ખાતે મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી જલારામ સેવા મંડળના હોદ્દેદારો ઉપરાંત ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવિનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ સહિતના સમાજના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 3:28 pm

ગુજરાતમાં 254 PSI ને PI તરીકે પ્રમોશન અપાયું:518 PIની રાજ્યવ્યાપી બદલી, સાબરકાંઠામાં 8 બદલી અને 6ને પોસ્ટીંગ

પોલીસ વિભાગ દ્વારા રાજ્યમાં 254 PSI ને PI તરીકે પ્રમોશન આપી પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાજ્યભરમાં 518 PI ની બદલીના આદેશો પણ જારી કરવામાં આવ્યા છે. આ બદલીઓમાં સાબરકાંઠા જિલ્લાના 8 PI નો સમાવેશ થાય છે, જ્યારે 8 નવા PI ની સાબરકાંઠા જિલ્લામાં બદલી થઈ છે. લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે 254 PSI ને PI તરીકે પ્રમોશન આપી દેવાયું હતું, પરંતુ તેમને પોસ્ટીંગ મળ્યું ન હતું. રામનવમીના દિવસે આ પ્રમોટેડ PI ને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં ગાંભોઈ, વિજયનગર, પ્રાંતિજ, જાદર અને સાબરકાંઠા SOG PI સહિત 6 PSI ને PI તરીકે પ્રમોશન મળ્યા બાદ પોસ્ટીંગ અપાયું છે. રાજ્યમાં કુલ 518 PI ની બદલીના હુકમો થયા છે. સાબરકાંઠા જિલ્લામાંથી હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના બે PI, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન, ઇડર પોલીસ સ્ટેશન, હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન, LIB PI અને હિંમતનગરના IUCAW યુનિટના PI સહિત 8 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાંથી બદલી થયેલા PI માં ગાંભોઈ PI સંજયકુમાર જગદીશગીરી ગોસ્વામી (CID ક્રાઈમ ગાંધીનગર), વિજયનગર PI અરવિંદકુમાર ભીખાભાઈ ચૌધરી (સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ), પ્રાંતિજ PI નારાયણસિંહ રામદેવસિંહ ઉમટ (અમદાવાદ ગ્રામ્ય), જાદર PI મમતાબેન દજુસિંહ ગઢવી (મહીસાગર), હિંમતનગર બી ડિવિઝન PI મયુરી દિનેશભાઈ ચૌહાણ (CID ક્રાઈમ) અને સાબરકાંઠા SOG PI ધર્મેન્દ્ર છગનલાલ પરમાર (અરવલ્લી) નો સમાવેશ થાય છે. અન્ય બદલીઓમાં PI જે.કે. રાઠોડ (અમદાવાદ શહેર), ખેડબ્રહ્મા PI આર.ટી. ઉદાવત (અમદાવાદ શહેર), ઇડર PI એ.જી. રાઠોડ (ખેડા), હિંમતનગર ગ્રામ્ય PI એચ.આર. હેરભા (ACB), હિંમતનગર એ ડિવિઝન PI પી.પી. વાઘેલા (અમદાવાદ શહેર), હિંમતનગર એ ડિવિઝન PI પી.એમ. ચૌધરી (સુરત), LIB PI એન.એન. રબારી (વડોદરા શહેર) અને હિંમતનગર IUCAW યુનિટ PI બી.પી. ડોડીયા (રા.અ.પો.તા.કેન્દ્ર, ચોકી સોરઠ) નો સમાવેશ થાય છે. સાબરકાંઠા જિલ્લામાં બદલી થઈને આવેલા PI માં જામનગરથી એ.આર. ચૌધરી, જૂનાગઢથી આર.એ. ચૌધરી, મોરબીથી કે.જે. માથુકીયા, ACB થી એમ.એમ. સોલંકી, અમદાવાદ શહેરથી કે.વાય. વ્યાસ, અમદાવાદ શહેરથી ડી.વી. હડાત, કચ્છ પૂર્વ ગાંધીધામથી એ.એમ. વાળા અને બનાસકાંઠાથી વી.એમ. ચૌધરીનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 3:23 pm

અમરેલીમાં રોડકામમાં ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો:એક મહિના પહેલા બનેલા 11 કરોડના RCC રોડના ગુણવત્તા સેમ્પલ ફેઈલ; તોડીને નવો બનાવાશે

અમરેલી શહેરમાં આર્ટસ કોલેજ પાસે આશરે 11 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત RCC રોડની કામગીરીમાં મોટા પાયે લોટપાણીને લાકડા થયાનું સામે આવ્યું છે. માત્ર એક મહિના પહેલા જ તૈયાર થયેલા આ રસ્તાના ગુણવત્તાના સેમ્પલ લેબોરેટરી તપાસમાં નાપાસ થતા, હવે આ માર્ગને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટર એજન્સીએ ભૂલ સ્વીકારી રાજ્યના મંત્રી કૌશિક વેકરીયાને આ રસ્તાની નબળી ગુણવત્તા અંગે જાણ થતા તેમણે તાત્કાલિક કડક પગલાં લેવા આદેશ આપ્યા હતા. તપાસ દરમિયાન સંબંધિત કોન્ટ્રાક્ટર એજન્સીએ પણ સ્વીકાર્યું હતું કે કામગીરીમાં ખામી રહી ગઈ છે. મંત્રીની સૂચના બાદ, હાલ 125 મીટર લાંબો નબળો રોડ તોડીને તેને ફરીથી બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં તપાસનો વ્યાપ વધારાયો આ ઘટનાને ગંભીરતાથી લઈને મંત્રીએ જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપી છે કે, સમગ્ર અમરેલી જિલ્લામાં હાલમાં બનેલા તમામ રસ્તાઓના સેમ્પલ લઈને તેની ગુણવત્તા ચકાસવામાં આવે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પ્રભારી મંત્રી જીતુ વાઘાણી અને ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે નબળું કામ કરનાર એજન્સીઓને 'બ્લેક લિસ્ટ' કરવામાં આવશે. વિપક્ષના પ્રહારો અને જનતામાં રોષ રોડ તોડવાની આ કામગીરીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ મુદ્દે રાજકીય પ્રતિક્રિયા આપતા પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીએ જણાવ્યું હતું કે, અમરેલીમાં ઠેર ઠેર રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. એક મહિનો જ થવા છતાં જો રોડ તોડવો પડતો હોય, તો તે સરકારી નાણાંનો વ્યય અને તંત્રની લાપરવાહી સૂચવે છે. હાલમાં એજન્સી દ્વારા પોતાના ખર્ચે ફરીથી રોડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ આ ઘટનાએ શહેરના અન્ય વિકાસકામોની ગુણવત્તા સામે પણ પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યું છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 3:21 pm

અમેરિકન બાયર બની કરોડોના હીરા પડાવનાર સૂત્રધાર હરેકૃષ્ણ રાવળ ઝબ્બે:વર્ચ્યુઅલ નંબર અને ફેક પ્રોફાઇલ બનાવી હોંગકોંગ-દુબઈ માલ મંગાવી પેમેન્ટ આપ્યા વગર ગેંગ રફુચક્કર થઈ જતી

સુરતના વિશ્વપ્રસિદ્ધ હીરા બજારને નિશાન બનાવી અમેરિકાની નામાંકિત કંપનીના પ્રતિનિધિ હોવાની ખોટી ઓળખ આપી હીરા પડાવતી ગેંગના મુખ્ય સૂત્રધાર હરેકૃષ્ણ ઉર્ફે હરી કમલેશભાઈ રાવળની સુરત ઇકો સેલે ધરપકડ કરી છે. આ ટોળકીએ વર્ચ્યુઅલ (ગેટ-વે) મોબાઈલ નંબરોનો ઉપયોગ કરી સુરતના વેપારીઓ પાસેથી કુલ 5,34,220 ડોલર (આશરે 4.80 કરોડ)ની કિંમતના હીરા દુબઈ અને હોંગકોંગ મંગાવી પેમેન્ટ ન ચૂકવી વિશ્વાસઘાત કર્યો હતો. આ કૌભાંડમાં અગાઉ ચાર આરોપીઓ પકડાઈ ચૂક્યા છે, જ્યારે હવે આ આખા ષડયંત્રના માસ્ટરમાઈન્ડને કતારગામ વિસ્તારમાંથી ઝડપી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રેપનેટ એપ્લિકેશન પરથી શિકાર શોધતો હતો સૂત્રધારસુરતની ઇકો સેલ પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ સૂત્રધાર હરેકૃષ્ણ રાવળ અને તેની ગેંગ હીરા વેપારીઓના ડેટા મેળવવા માટે 'રેપનેટ' (RapNet) એપ્લિકેશનનો સહારો લેતા હતા. આ પ્લેટફોર્મ પર સુરતના જે વેપારીઓએ હીરા વેચાણ માટે મૂક્યા હોય, તેમની વિગતો, મોબાઈલ નંબર અને સ્ટોકની માહિતી આ ટોળકી મેળવી લેતી હતી. સૂત્રધાર હરી રાવળ પોતે આ આખા નેટવર્કનું સંચાલન કરતો હતો અને કઈ રીતે વેપારીને જાળમાં ફસાવવો તેની યોજના તૈયાર કરતો હતો. અમેરિકન કંપનીના નામે નકલી ઓળખ ઉભી કરીઆ ટોળકી અત્યંત પ્રોફેશનલ રીતે છેતરપિંડી આચરતી હતી. આરોપીઓએ 'https://www.google.com/search?q=Eximpedia.com' જેવી વેબસાઈટ પરથી અમેરિકાની જાણીતી હીરાની કંપનીઓ જેવી કે ”હશન ફિલ્ડ સ્ટેન આઇ.એન.સી” અને ”ડાયમંડ એન્ડ ડાયમંડ કોર્પોરેશન” ના હોદ્દેદારોના નામ, ફોટા અને કંપનીના લોગો મેળવ્યા હતા. સૂત્રધારે આ વિગતોનો ઉપયોગ કરી વોટ્સએપ પર વિદેશી કંપનીના કર્મચારી જેવી જ પ્રોફાઇલ બનાવી હતી, જેથી સુરતના વેપારીઓને જરા પણ શંકા ન જાય કે તેઓ કોઈ ઠગ સાથે વાત કરી રહ્યા છે. વર્ચ્યુઅલ ગેટ-વે નંબરોનો માયાવી જાળઆ ગુનામાં સૌથી મહત્વનું પાસું વર્ચ્યુઅલ નંબરોનું છે. સૂત્રધાર હરેકૃષ્ણએ ટેકનોલોજીનો દુરુપયોગ કરી વિદેશના વર્ચ્યુઅલ (ગેટ-વે) નંબરો મેળવ્યા હતા. આ નંબરો પરથી તે વેપારીઓ સાથે વોટ્સએપ ચેટિંગ કરતો હતો. વેપારીને એવું જ લાગે કે તેને અમેરિકાથી ફોન કે મેસેજ આવી રહ્યો છે. પોતાની અસલી ઓળખ છુપાવવા માટે આ ગેંગ હંમેશા આવા ટેકનિકલ માધ્યમોનો જ ઉપયોગ કરતી હતી, જેના કારણે પોલીસ માટે તેમને ટ્રેસ કરવા શરૂઆતમાં મુશ્કેલ બન્યા હતા. 7 દિવસમાં પેમેન્ટનો વાયદો અને હોંગકોંગ ડિલિવરીવેપારીઓનો વિશ્વાસ જીતવા માટે આ ટોળકી શરૂઆતમાં પ્રોફેશનલ ડીલ કરતી હતી. સૂત્રધાર દ્વારા વેપારીઓને એવી લાલચ આપવામાં આવતી કે હીરાનો માલ મળ્યાના માત્ર 7 દિવસમાં જ તમામ પેમેન્ટ ચુકવી દેવામાં આવશે. વિશ્વાસમાં આવીને સુરતના વેપારીઓ હીરાનો કિંમતી જથ્થો આરોપીઓએ જણાવ્યા મુજબ હોંગકોંગ, દુબઈ કે બેંગકોક મોકલી આપતા હતા. જેવો માલ વિદેશમાં રિસીવ થઈ જતો, કે તરત જ સૂત્રધાર અને તેની ગેંગ પોતાના વર્ચ્યુઅલ નંબરો બંધ કરી દેતા હતા. 4.80 કરોડની છેતરપિંડીની વિગતોફરિયાદી સંજયભાઈ ગોટી અને અન્ય ભોગ બનનાર વેપારીઓ પાસેથી આ ટોળકીએ લાખો ડોલરના હીરા પડાવ્યા હતા. પોલીસના આંકડા મુજબ કુલ 5,34,220 યુ.એસ. ડોલરની છેતરપિંડી આચરવામાં આવી છે, જેની ભારતીય બજારમાં કિંમત અંદાજે 4,80,79,800 થાય છે. જ્યારે વેપારીઓને પેમેન્ટ ન મળ્યું અને સંપર્ક તૂટી ગયો, ત્યારે તેમને અહેસાસ થયો કે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરના મોટા કૌભાંડનો ભોગ બન્યા છે. ઇકો સેલની ટેકનિકલ તપાસ અને સૂત્રધારની ધરપકડઆ મામલે સુરત પોલીસ કમિશનરની સૂચનાથી ઇકો સેલે તપાસ તેજ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને અગાઉ પકડાયેલા ચાર આરોપીઓની પૂછપરછમાં હરેકૃષ્ણ ઉર્ફે હરી રાવળનું નામ સામે આવ્યું હતું. ઇકો સેલે બાતમીના આધારે કતારગામ, લલિતા ચોકડી પાસેથી 28 વર્ષીય હરેકૃષ્ણની ધરપકડ કરી છે. આરોપી મૂળ ભાવનગરના મહુવા તાલુકાના હરીપરા ગામનો વતની છે અને હાલ સુરતમાં રહીને આ કૌભાંડનું સૂત્રધાર તરીકે સંચાલન કરતો હતો. અગાઉ પકડાયેલા અન્ય ચાર સાગરીતો1. નિકુંજ ભરતભાઇ આંબલીયા2. મિતુલકુમાર પ્રેમજીભાઇ ગોટી3. અનુજ દિપકભાઇ શાહ4. ચેતન રાજુભાઇ સાગર (સોની) આ ગુનામાં પોલીસ પહેલા જ ચાર આરોપીઓની ધરપકડ કરી ચુકી છે. આ તમામ આરોપીઓ અલગ-અલગ તબક્કે હીરા મંગાવવા, તેની ડિલિવરી લેવા અને તેને સગેવગે કરવામાં સૂત્રધાર હરી રાવળને મદદ કરતા હતા. હાલમાં આ ટોળકીએ અન્ય કેટલા વેપારીઓને નિશાન બનાવ્યા છે તે દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 3:20 pm

મોરબી જિલ્લામાં 12 PIની બદલી:LCB, SOG સહિત વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓ બદલાયા, 6 નવા મુકાયા

રાજ્ય પોલીસ વિભાગ દ્વારા પીઆઈ કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીમાં મોરબી જિલ્લાના કુલ 12 પોલીસ ઇન્સ્પેક્ટર (PI)નો સમાવેશ થાય છે, જ્યારે નવા 6 PIને મોરબી જિલ્લામાં મુકવામાં આવ્યા છે. મોરબી જિલ્લામાંથી બદલી પામેલા PI અધિકારીઓમાં વાંકાનેરના હુકુમતસિંહ જાડેજા (કચ્છ પૂર્વ), બી ડિવિઝનના નયન વસાવા (ભરૂચ), ટંકારાના કે.એમ. છાસીયા (સુરત), વી.પી. ગોલ (અમરેલી), SOGના એન.આર. મકવાણા (અમદાવાદ), LCBના એમ.પી. પંડ્યા (વડોદરા)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, LIBના માથુકીયા (સાબરકાંઠા), મહિલા PI પી.એચ. લગધીરાકા (બનાસકાંઠા), ડી.વી. કાનાણી (વલસાડ), પી.આર. સોનારા (CID ક્રાઇમ), વી.એન. પરમાર (CID ક્રાઇમ) અને એન.એમ. ગઢવી (સાયબર સેન્ટર ઓફ એક્સેલેન્સ)ની પણ બદલી કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં નવા મુકાયેલા PI અધિકારીઓમાં જે.ડી. ઝાલા, એન.એસ. ઘેટિયા, જે.એસ. ગામીત, વી.એસ. સિંધવ, એસ.પી. જાડેજા અને જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ સરવૈયાનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 3:18 pm

અમદાવાદમાં પ્રેમ દરવાજાથી દિલ્હી દરવાજા સુધી રામનામની ગુંજ:7 અખાડા, 15 ટ્રેકટર અને 12 ઉંટ લારી સાથે શોભાયાત્રા 7 કિ.મી.ના રૂટ પર નીકળશે

આજે રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળ દ્વારા અમદાવાદ શહેરમાં દર વર્ષની જેમ રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા પ્રેમ દરવાજા સરયુ મંદીર પ્રેમદરવાજાથી પ્રસ્થાન થશે. આ શોભાયાત્રા નિયત કરેલા આશરે 7 કિ.મીનો રૂટ પુર્ણ કરીને દિલ્હી દરવાજા પાસે પૂર્ણ થશે. જેમાં મુખ્ય આકર્ષણ 7 અખાડા, 15 ટ્રેકટર, 12 ઉંટ લારી, વેશભૂષા અને સાંસ્કૃતિક ઝાંખી અને ટેબ્લો રહેશે. બજરંગદળના રાષ્ટ્રીય સંયોજક મા. શ્રી કિસનજી પ્રજાપત અને ક્ષેત્રિય મંત્રીશ્રી મા. અશ્વિનના હસ્તે આ શોભાયાત્રાની શરૂઆત થશે. આ શોભાયાત્રા સરયુ મંદિર પ્રેમ દરવાજાથી પ્રસ્થાન, ત્યાંથી ઈદગાહ સર્કલ - દરિયાપુર દરવાજા - વાડીગામ - દરિયાપુર તંબુ ચોકી - દરિયાપુર ટાવર - કડિયાનાકા - દિલ્હી ચકલા - પિત્તળિયા બંબા - ઘી કાંટા પોલીસ ચોકી - નવતાડ ચોક - દૂધવાળી પોળ - રેંટિયાવાડી ચાર રસ્તા - બી.એસ.એન.એલ. ઓફિસ - સ્વામિનારાયણ મંદિર નાગોરીવાડ - ભોઇવાડા - ઘાંચી ઓળ - હલીમ ની ખડકી - શાહપુર દરવાજા - આંબેડકર ચોક શાહપુર - લાલાકાકા હોલ - ધોબીઘાટ ચાર રસ્તા - વાટિકા ફ્લેટ - માધુપુરા પોલીસ સ્ટેશન - મહેંદીકુવા ચાર રસ્તા - બીજી ટાવર - અડવાણી માર્કેટ ની બહાર શ્રી રામજી મંદિરે યાત્રાની પૂર્ણાહુતિ થશે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 3:10 pm

ઈરાનમાં યુદ્ધ વચ્ચે લેબેનોનમાં 'નવું ગાઝા' બનાવી રહ્યું છે ઈઝરાયલ? 1100 મોત, 12 લાખ બેઘર

Iran Israel War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના તણાવની વચ્ચે, મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળા હવે લેબનાનને પણ લપેટમાં લઈ રહી છે. ઈઝરાયલ અને ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાહ વચ્ચેનો સંઘર્ષ હવે એક ભયાનક વળાંક લઈ રહ્યો છે. લેબનાનના દક્ષિણ ભાગમાં ઈઝરાયલના તાજેતરના હુમલાઓએ એવી સ્થિતિ સર્જી છે કે, લોકો તેને નવું ગાઝા બનાવવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે. આ માત્ર લશ્કરી સંઘર્ષ નથી, પરંતુ જમીન, વસ્તી અને ઓળખને કાયમ માટે બદલી નાખવાની એક સુનિયોજિત રણનીતિ હોય તેવું લાગી રહ્યું છે. સન્નાટો, વિસ્થાપન અને મોત

ગુજરાત સમાચાર 26 Mar 2026 2:58 pm

ગુજરાતમાં ‘ગન કલચર’ વધ્યું:પોલીસ લોકોની સુરક્ષા માટે નહીં પણ AAP કાર્યકરોને ડરાવવા-ધમકાવવાનું કામ કરે છે : ગોપાલ ઇટાલીયાના ભાજપ સરકાર પર આકરા પ્રહાર

આમ આદમી પાર્ટીનાં દિગ્ગજ નેતા ગોપાલ ઇટાલિયા આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અને સર્કિટ હાઉસમાં એક પત્રકાર પરિષદ યોજી ગુજરાતમાં ગન કલચર વધ્યું હોવાનો દાવો કર્યો હતો. સાથે પોલીસ લોકોની સુરક્ષા માટે નહીં પણ ભાજપનાં ઈશારે AAP કાર્યકરોને ડરાવવા-ધમકાવવા કામ કરતી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાતની કાયદો અને વ્યવસ્થા તેમજ આમ આદમી પાર્ટી (AAP) ના કાર્યકરો સામે થઈ રહેલી પોલીસ હેરાનગતિ મુદ્દે રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી. તેમણે વિધાનસભામાં પૂછેલા પ્રશ્નોના ઉત્તર અને વર્તમાન રાજકીય સ્થિતિને ટાંકીને ગુજરાતમાં વધતા જતા ‘ગન કલચર’ અને પોલીસ તંત્રના કથિત દુરુપયોગ અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા. ગોપાલ ઇટાલીયાએ જનતાનું ધ્યાન ગુજરાતમાં વધતા હથિયાર લાયસન્સ તરફ દોર્યું હતું. તેમણે જણાવ્યું કે, વિધાનસભામાં તેમના દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ખાસ કરીને સુરત અને અમદાવાદ જિલ્લામાં સ્વરક્ષણ માટે હથિયાર રાખનારાઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ગૃહમંત્રીએ આપેલા સરકારી આંકડાઓ મુજબ, હાલમાં સુરતમાં 2900 અને અમદાવાદમાં 5100 જેટલા લોકો પાસે રિવોલ્વરના લાયસન્સ છે. ઇટાલીયાએ દાવો કર્યો હતો કે જો સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો અંદાજીત 1,00,000 લોકો પાસે રિવોલ્વર લાયસન્સ હોઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે, હથિયારો મેળવવા માટે મોટાભાગના લોકોએ ‘જીવનું જોખમ’ હોવાનું કારણ દર્શાવ્યું છે. આ બાબતે કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, જો આટલી મોટી સંખ્યામાં લોકો સુરક્ષા માટે હથિયારો વસાવી રહ્યા હોય, તો તે સાબિત કરે છે કે ગુજરાતમાં હવે બિહાર જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને રાજ્યમાં ‘ગન કલચર’ પગપેસારો કરી ચૂક્યું છે. જો નાગરિકો પોતે સુરક્ષિત અનુભવતા ન હોય તો સરકારના સલામત ગુજરાતના દાવાઓ પોકળ સાબિત થાય છે. બીજા મહત્વના મુદ્દે બોલતા ગોપાલ ઇટાલીયાએ ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં પોલીસ તંત્ર સત્તાધારી પક્ષના ઈશારે આમ આદમી પાર્ટીના કાર્યકરોને નિશાન બનાવી રહ્યું છે. પોલીસ દ્વારા કાર્યકરોની ગેરકાયદેસર અટકાયત કરવામાં આવે છે અને તેમને ધમકાવીને પાર્ટીનો અંગત ડેટા મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુરેન્દ્રનગરની ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, કાલે ત્યાંના SPએ અમારા કાર્યકરોને ખુલ્લેઆમ ધમકીઓ આપી છે. ભાજપ એક તરફ એવું કહે છે કે AAP તેમની સાથે છે, પરંતુ પડદા પાછળ અમારા ઉમેદવારોને ડરાવવામાં આવે છે અને ચૂંટણી ન લડવા માટે દબાણ કરવામાં આવે છે. આજે હું એ બતાવવા આવ્યો છું કે પોલીસનો ઉપયોગ જનતાની સુરક્ષા માટે નહીં, પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓને ડરાવવા, ધમકાવવા અને જેલમાં નાખવા માટે થઈ રહ્યો છે. ગયા કેટલાક દિવસોમાં વિવિધ જિલ્લાઓમાં અમારા કાર્યકરોને પોલીસે હેરાન કર્યા છે. 13 માર્ચે સાબરકાંઠામાં ત્રણ કલાક સુધી એક કાર્યકરને ધમકી આપવામાં આવી. ધરમપુરમાં ઉમેદવારોના ઘેર જઈ તેમના મોબાઇલ અને લેપટોપ ચેક કરવામાં આવ્યા. વાંસદા અને અમદાવાદમાં કાર્યકરોને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ કલાકો સુધી બેસાડવામાં આવ્યા. પાલનપુર, સુરેન્દ્રનગર, ચોટીલા, નવસારી, નરોડા, બાપુનગર, એલિસબ્રિજ સહિત અનેક વિસ્તારોમાં આવી જ કાર્યવાહી થઈ છે. કાર્યકરો પાસેથી ચૂંટણી સંબંધિત ડેટા માંગવામાં આવ્યો અને ન આપવાથી ખોટા કેસમાં ફસાવવાની ધમકીઓ આપવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં અમારા આગેવાનોને પોલીસ અધિકારીઓ દ્વારા માર મારવામાં આવ્યો અને રાજકીય દબાણની ધમકી આપવામાં આવી છે. આખા ગુજરાતમાં પોલીસનો ઉપયોગ માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકરોને દબાવવા માટે થઈ રહ્યો છે, જ્યારે સામાન્ય જનતા ગુંડાઓ, માફિયા અને ગુનાખોરોના ભરોસે છોડી દેવામાં આવી છે. પરિણામે લોકો હવે પોતાનું રક્ષણ કરવા માટે હથિયાર લાયસન્સ લેવાનું પસંદ કરી રહ્યા છે. હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટી એક આંદોલનમાંથી ઊભી થયેલી લડાયક પાર્ટી છે. અમે ડરવાના નથી. આ લડાઈ સત્ય અને ન્યાય માટે છે. તેથી જનતાએ સત્યનો સાથ આપવો જોઈએ. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુ હતુ કે આ બાબતે અમે ફરિયાદ નોંધાવી છે, પરંતુ અમારી ફરિયાદ ક્યાંય સ્વીકારવામાં આવતી નથી. પોલીસે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ઉપરથી “કમલમ” તરફથી આદેશ છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ડરાવો, ધમકાવો અને તેમના ઉમેદવારોનો ડેટા મેળવો. અમે નિયમ મુજબ ફરિયાદ કરી રહ્યા છીએ, પરંતુ અમારી ફરિયાદને યોગ્ય રીતે લેવામાં આવતી નથી. હાલમાં પણ એ જ પ્રક્રિયા ચાલુ છે અને અમને પણ એ જ રીતે આગળ વધવાનું કહેવામાં આવે છે. ધરમપુર, વાંસદા, પાલનપુર, સુરેન્દ્રનગર, ચોટીલા, નવસારી, નરોડા સહિત અનેક વિસ્તારોમાં અમારા કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવ્યા છે. આ તમામ મામલાઓમાં અમે પ્રથમ તબક્કે પોલીસ પાસે જ રજૂઆત કરી છે. આગામી દિવસોમાં જો પોલીસ સ્ટેશનમાંથી અમને યોગ્ય અને લેખિત જવાબ નહીં મળે, તો અમે કોર્ટમાં પણ જઈશું, કારણ કે આ ઘટનાઓ તાજેતરમાં બની છે અને હજુ પણ ચાલુ છે. આંકડાઓ મુજબ, માત્ર બે જિલ્લાઓમાં જ આશરે આઠ હજારથી વધુ લોકો પાસે હથિયાર લાયસન્સ છે અને પાંચસોથી વધુ નવા લાયસન્સ માટે અરજીઓ થઈ રહી છે. ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓ છે. જો માત્ર બે જિલ્લાઓમાં આટલો આંકડો હોય, તો સમગ્ર રાજ્યમાં આ સંખ્યા ખૂબ મોટી થઈ શકે છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતના ઘણા લોકો હવે હથિયાર લાયસન્સ લઈ રહ્યા છે, કારણ કે તેઓ મુશ્કેલી વખતે પોલીસ પર સંપૂર્ણ ભરોસો રાખી શકાતો નથી અને પોતાની સુરક્ષા માટે પોતે જ સજ્જ રહેવું જરૂરી છે. ઇટાલીયાએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી હતી કે, અમે SP કે IGની દલાલી કરવા વાળા લોકો નથી. આ મામલે હાલમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને જો પોલીસ તંત્ર દ્વારા યોગ્ય સંતોષકારક જવાબ કે કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આ લડાઈ કોર્ટ સુધી લઈ જવાની તૈયારી છે. લોકોએ પણ આ બાબત ખાસ સમજવી જરૂરી છે કે, તમે જેને મત આપ્યા છે તે સરકાર હાલમાં તમારી સુરક્ષા કરવાને બદલે પોલીસનો AAP કાર્યકરોને ડરાવવા-ધમકાવવા માટે ઉપયોગમાં લઇ રહી છે. ત્યારે આગામી ચૂંટણીમાં આ બાબતને ધ્યાનમાં લઈ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. કેજરીવાલના બંગલા મુદ્દે વિવાદ અને વળતો પ્રહાર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલના નિવાસસ્થાન (બંગલા) અંગે ચાલી રહેલા વિવાદ પર પણ ગોપાલ ઇટાલીયાએ મૌન તોડ્યું હતું. તેમણે ભાજપ અને વિરોધીઓ દ્વારા કરવામાં આવતા રૂ. 25 કરોડના ખર્ચના આક્ષેપોને તદ્દન ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા. અને જણાવ્યું હતું કે, જે લોકો 25 કરોડના ખોટા નિવેદનો આપી રહ્યા છે, તેમણે પહેલા પોતાની સરકારના વહીવટ પર ધ્યાન આપવું જોઈએ. તેમણે 'રહેમાન ડકેત' જેવા શબ્દોના પ્રયોગ કરનારા નેતાઓને સલાહ આપી હતી કે બીજા ઉપર આંગળી ઉઠાવતા પહેલા પોતાનું નિરીક્ષણ કરે. ઇટાલીયાએ આક્ષેપ કર્યો કે, એક બાજુ સામાન્ય કોર્પોરેટરો રૂ. 100 કરોડના કૌભાંડો આચરી રહ્યા છે અને બીજી બાજુ એક પૂર્વ મુખ્યમંત્રી સામે રૂ. 25 કરોડના ખર્ચના પાયાવિહોણા આરોપો લગાવીને જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. હવે તો અદાલત દ્વારા પણ સાબિત થઈ ચૂક્યું છે કે, અરવિંદ કેજરીવાલ સાવ નિર્દોષ છે, ત્યારે તેમના વિશે ખોટી અફવા ફેલાવવી એ જરાપણ યોગ્ય નથી. તો ગોપાલ ઇટાલીયાએ આક્રમક તેવર બતાવી AAPનાં આગેવાનોને પોલીસની હેરાનગતિ મામલે આગામી દિવસોમાં કાયદાકીય તેમજ રાજકીય લડત ઉગ્ર કરવાના સંકેતો આપ્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 2:56 pm

ત્રીજા માળેથી દર્દીનો કૂદીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ:ગોડાદરાની હોસ્પિટલમાં હાઈવોલ્ટેજ ડ્રામા; ફાયર વિભાગે વાતોમાં ભોળવી રેસ્ક્યૂ કર્યું

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં આજે એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી હતી. આસપાસ ત્રણ રસ્તા પાસે આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક યુવકે ત્રીજા માળેથી કૂદીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ફાયર બ્રિગેડની સતર્કતા અને સમયસૂચકતાને કારણે યુવકનો આબાદ બચાવ થયો છે. હોસ્પિટલના ત્રીજા માળે મચી અફરાતફરીમળતી વિગતો અનુસાર, ગોડાદરા ચોકડી સ્થિત શ્રીજી આર્કેડમાં ત્રીજા માળે એક ખાનગી હોસ્પિટલ આવેલી છે. અહીં 30 વર્ષીય એક અસ્થિર મગજનો યુવક સારવાર હેઠળ હતો. આજે આ યુવક અચાનક હોસ્પિટલની બારીમાંથી બહાર નીકળી પાળીના ભાગે પહોંચી ગયો હતો. યુવકને જોખમી રીતે બારી પર ચઢેલો જોઈ હોસ્પિટલ સ્ટાફ અને નીચે ઉભેલા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ધમાચકડી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડનું દિલધડક ઓપરેશનઘટનાની જાણ થતા જ ફાયર કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક અસરથી ફાયર ફાઈટરોની ટીમને હાઈડ્રોલિક પ્લેટફોર્મ સાથે ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. યુવક નીચે કૂદવાની જીદ પર અડગ હતો, ત્યારે ફાયરના જવાનોએ ખૂબ જ ધીરજથી કામ લીધું હતું. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન જવાનોએ યુવક સાથે વાતચીત શરૂ કરી તેને વાતોમાં ભોળવ્યો હતો. જવાનોએ તેને સાંત્વના આપતા કહ્યું કે, તને અમે બચાવી લઈશું, તને કઈ જ નહીં થવા દઈએ. ભારે જહેમત બાદ યુવક સુરક્ષિતજ્યારે બે જવાનો વાતો દ્વારા યુવકનું ધ્યાન ભટકાવી રહ્યા હતા, ત્યારે અન્ય જવાનોએ હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી બારી પાસે પહોંચીને યુવકને મજબૂતાઈથી પકડી પાડ્યો હતો. આખરે ભારે જહેમત બાદ યુવકને સહીસલામત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો. યુવક સુરક્ષિત નીચે આવતા જ હોસ્પિટલ સ્ટાફ અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. ફાયર બ્રિગેડની આ કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 2:53 pm

250 વર્ષ જૂના રામજી મંદિરમાં રામન્મોત્સવની ધામધૂમથી ઉજવણી:તાત્યા ટોપે અહીં ટહલદાસ મહારાજ રૂપે રહ્યા; 40 હજાર ભક્તો લેશે મહાપ્રસાદ; ગેસ સિલિન્ડરની અછતને કારણે બે વાનગી રદ કરાઇ

આજે રામનવમી નિમિત્તે દેશભરમાં રામલલ્લાનો જન્મોત્સવ બપોરે 12 વાગ્યે ધામધૂમથી ઉજવવામાં આવ્યો. નવસારી શહેરમાં આવેલા રામજી મંદિરમાં પણ આ ઉજવણી કરવામાં આવી હતી. સાંજે આશરે 40 હજારથી વધુ ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે. પરંપરા મુજબ, ભક્તો માટે 40 હજારથી વધુ ઘીના લાડુ બનાવવામાં આવ્યા છે. જોકે, ગેસ સિલિન્ડરની અછતને કારણે આ વખતે પ્રથમવખત ભોજનમાં બે વાનગીઓ ઘટાડવામાં આવી છે. નવસારીનું આ રામજી મંદિર 250 વર્ષથી વધુ જૂનું છે. આ મંદિર સ્વાતંત્ર્યવીર તાત્યા ટોપેના સંત ટહલદાસજી તરીકેના રોકાણને કારણે ઐતિહાસિક પણ બન્યું છે. નવસારીમાં દુધિયા તળાવના કિનારે આવેલું આ મંદિર હજારો રામભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ મંદિર ધાર્મિકની સાથે ઐતિહાસિક પણ છે. 1857ના અંગ્રેજો સામેના બળવામાં તાત્યા ટોપે એક અગ્રણી ભારતીય લડવૈયા હતા. અંગ્રેજોએ 1859ની આસપાસ ટોપેને ફાંસી આપ્યાનું જાહેર કર્યું હતું, પરંતુ તેનો કોઈ સચોટ પુરાવો મળ્યો ન હતો અને ટોપેની ચોક્કસ ઓળખ પણ થઈ ન હતી. અંગ્રેજોને શંકા હતી કે ફાંસી તાત્યા ટોપેને જ અપાઈ હતી કે નહીં, તેથી પાછળથી વધુ બે વ્યક્તિઓને ટોપે હોવાની શંકા હેઠળ ફાંસી આપવામાં આવી હતી. એવું પણ નોંધાયું હતું કે અંગ્રેજોને ચકમો આપીને બે વ્યક્તિઓ ભાગી ગયા હતા. આમ, ટોપેને જ ફાંસી અપાઈ તે ચોક્કસપણે સ્થાપિત થયું ન હતું. બીજી તરફ, 1862ની આસપાસ નવસારીના રામજી મંદિરમાં એક આધેડ વયનો તેજસ્વી વ્યક્તિ આવ્યો હતો. બાદમાં આ વ્યક્તિ સંત ટહલદાસજી તરીકે મંદિરમાં લાંબો સમય રોકાયો હતો. તેમનો ચહેરો, તેમના આવવાનો સમય અને તેમને બહારથી મળવા આવતા મુલાકાતીઓ જેવી બાબતો પરથી અનેક લેખોમાં એવું પુરવાર થયું છે કે તાત્યા ટોપે જ અંગ્રેજોને ચકમો આપીને ટહલદાસજી તરીકે રામજી મંદિરમાં રોકાયા હતા. તાત્યા ટોપે ઉર્ફે ટહલદાસજીના રોકાણને કારણે નવસારીનું રામજી મંદિર ધાર્મિકની સાથે ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. આજે આ મંદિર અનેક સામાજિક પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલું છે. રામજી મંદિરના સંત મહંતોની જે ધૂણી શાંતિ બનાવવામાં આવી છે, તેમાં ટહલદાસજી મહારાજની પણ ધૂણીનો સમાવેશ થાય છે. શું કહે છે ટ્રસ્ટી મંડળ? રામજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી યોગેશભાઈ નાયક જણાવે છે કે, આ વર્ષે આજે ગેસની તંગી અને સાંપ્રત પરિસ્થિતિને આધીન થઈને કોઈપણ પ્રકારનું ગવર્મેન્ટનું કે કોઈની પાસે બળજબરીપૂર્વક બે નંબરમાં પણ ગેસના બાટલા લેવાની અમારી કોઈ ઈચ્છા ન હોવાને કારણે અમે એવું નક્કી કર્યું કે, ભલે ગેસના બાટલા આપણને ઓછા મળે પણ આપણે બે આઈટમ એટલે કે મગનું ખાટું અને હલવા આ વર્ષે કેન્સલ કરીને ફક્ત લાડુ, દાળ-ભાત અને રીંગણ બટાકાનું શાકનો મહાપ્રસાદ આપીશું. આ વર્ષે લગભગ 10,000 વ્યક્તિને વધારે જમે એવો આપવાનો અમારો પ્રયત્ન છે. રામજી મંદિર હર હંમેશ આસ્થા, નિષ્ઠા અને લોકોભિમુખ બનવાનો અમારો જે પ્રયત્ન છે, તેમાં ફક્ત અને ફક્ત રામ ભગવાનની સાથેની આસ્થા નિષ્ઠા એટલી અગત્યની નથી પણ સમાજ પ્રત્યેનો એને મદદરૂપ થવાની અમારી ભાવનાઓને ધ્યાનમાં રાખીને અમે જે સામાજિક ઉત્તરદાયિત્વના જે કામો કરીએ છીએ એ એઝ ઈટ ઈઝ અમે ચાલુ રાખવાના છે. એની અંદર ઘણી પ્રવૃત્તિઓ છે પણ આજના દિવસે ફક્ત અને ફક્ત જે અત્યારે આરતી પૂરી થઈ અને સાંજે લગભગ 5:00 વાગ્યા પછી જે 40-45 હજાર વ્યક્તિ માટે મહાપ્રસાદનું આયોજન કરેલું છે. એમાં અમારી નમ્ર વિનંતી છે દરેક લોકોને કે પૂરેપૂરો સહકાર આપીને રામ નવમીના દિવસે આપણા સનાતન ધર્મને અનુરૂપ લોકો માટે, લોકો દ્વારા અને લોકોને સમ્મુખ કરીને અમારે આ વસ્તુ કરવાની છે ત્યારે એની અંદર અમારે સહકારની જે અપેક્ષા છે તેમાં અત્યાર સુધીની અંદર ક્યારેય આવું બન્યું નથી એટલે આ બે આઈટમ બ્રહ્મભોજનની અંદર જે કંઈ પીરસવામાં આવે છે, તેમાં બે આઈટમ એટલા માટે કે ફક્ત ગેસને કારણે, તો એની અંદર સહકાર આપીને આ રામનવમીના તહેવારને આપણે સારી રીતે ઉજવીએ અને પૂર્ણ પુરુષોત્તમ રામ ભગવાનના આશીર્વાદ આપણે બધાને મળે, આપણે આની અંદર આસ્થા ધરાવીએ, નિષ્ઠા ધરાવીએ અને સંપૂર્ણ માણસ અને સંપ્રદાયને માનસિકતા સાથે આપણે મદદરૂપ થવાની ભાવના કેળવીએ.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 2:35 pm

સંતવાણી:પ્રાર્થનામાં સંસારીક માંગણી ટાળી દિવ્ય સુખ માંગો: સાધુ પ્રેમવત્સલદાસજી

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલા ચારિત્ર્ય ઘડતરના ઉપદેશમાં એક પ્રેરણાદાયી ગુરુ-શિષ્યનો પ્રસંગ ટાંકીને મહત્વપૂર્ણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે પ્રાર્થનામાં સંસારીક માંગણીઓ કરવાને બદલે ભગવાનનું દિવ્ય સુખ માંગવું જોઈએ. આજે મોટાભાગના લોકો મંદિરમાં દર્શન કરવા જાય છે અને મસ્તક નમાવે છે, જે સારી બાબત છે. પરંતુ હવે આપણે થોડી વધુ સમજણ કેળવવાની જરૂર છે. લોકો ઘણીવાર ભૌતિક વસ્તુઓ માટે પ્રાર્થના કરે છે, જ્યારે આધ્યાત્મિક સુખની ઉપેક્ષા કરે છે. આ સંદર્ભમાં, તેમણે એક ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ વર્ણવ્યો. એક દિવસ શિષ્યે ગુરુને પૂછ્યું કે, આપણી કથાવાર્તા બધા સાંભળે છે, છતાં લોકોને ભગવાન કેમ મળતા નથી? ગુરુએ શિષ્યને દરેકના ઘરે જઈને તેમની જરૂરિયાતો પૂછવા કહ્યું. શિષ્યે એક યાદી બનાવીને ગુરુને આપી. આ યાદીમાં મોટાભાગના લોકોએ નોકરી, પૈસા, મકાન, પત્ની વગેરે જેવી સંસારીક વસ્તુઓની માંગણી કરી હતી. ગુરુએ યાદી વાંચીને કહ્યું કે, આ જ કારણ છે. યાદીમાં કોઈએ 'ભગવાન જોઈએ છે' તેવું લખાવ્યું જ ન હતું. લોકો સત્સંગમાં આવે છે, પણ આ ભૌતિક પદાર્થોની પ્રાપ્તિ માટે જ આવે છે. ગુરુએ સ્પષ્ટ કર્યું કે ભગવાનને પામવા માટે જે આવે છે તેને જ ભગવાન મળે છે. તેથી, મંદિરમાં જઈને ભગવાન મળે તેવી પ્રાર્થના કરવી જોઈએ. જો ભગવાન મળશે તો પછી લક્ષ્મી, પદાર્થો અને અન્ય બધી જ વસ્તુઓ આપોઆપ મળી જશે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 2:34 pm

PM મોદીના 8931 દિવસ:2001માં જ્યારે મોદીએ સુકાન સંભાળ્યું ત્યારે ગુજરાત અનેક પડકારો સામે ઝઝૂમી રહ્યું હતુંઃ જગદીશ વિશ્વકર્મા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી દિવસોમાં જાહેર થવાની શક્યતાઓ વચ્ચે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. ખાસ કરીને પ્રદેશ ભાજપે ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનાત્મક ગતિવિધિઓ ઝડપી બનાવી છે. આગામી સપ્તાહથી મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ જિલ્લા-તાલુકા પંચાયત માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી કરી છે. આ દિશામાં મહત્વપૂર્ણ પગલાં રૂપે પ્રદેશ ભાજપે તાજેતરમાં જ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ અને ચૂંટણી સંચાલન સમિતિની રચના કરી છે. જેના આધારે હવે ઉમેદવારોની પસંદગી માટે વ્યૂહરચના અમલમાં મૂકવામાં આવી રહી છે. ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકોની ટીમો રચાશેઆજરોજ કમલમ પ્રદેશ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નિરીક્ષકોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા અને શહેર સ્તરે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે ચાર-ચાર નિરીક્ષકોની ટીમો રચવાનો નિર્ણય લેવાયો હતો. નિરીક્ષકોની નિમણૂક બાદ તેઓને ફાળવેલા જિલ્લા અને મહાનગરોમાં ત્રણ દિવસ સુધી સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે પરામર્શ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ જિલ્લા-તાલુકા પંચાયત માટે સંભવિત ઉમેદવારોના નામો અંગે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે અને વોર્ડવાઇઝ પેનલ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ નિરીક્ષકો દ્વારા તૈયાર કરાયેલી પેનલ યાદીઓ સાથે જિલ્લા આગેવાનોની હાજરીમાં પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ એપ્રિલના બીજા સપ્તાહથી બેઠકોનો દોર શરૂ કરશે. આ બેઠકો બાદ તબક્કાવાર રીતે ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવશે. આ રીતે ભાજપ ચૂંટણી પૂર્વે સુવ્યવસ્થિત આયોજન સાથે મેદાનમાં ઉતરવા તૈયાર થઈ ગયું છે, જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય સ્પર્ધાને વધુ તીવ્ર બનાવશે. મોદીએ 8931 દિવસનો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપ્યોઃ વિશ્વકર્માભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસન અંગે ગૌરવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, દેશ માટે સેવા આપતા મોદીએ 8931 દિવસનો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપ્યો છે. તેઓ પહેલાં મુખ્યમંત્રી અને ત્યારબાદ પ્રધાનમંત્રી તરીકે લાંબા સમય સુધી સેવા આપનાર નેતા બન્યા છે. વિશ્વકર્માએ કહ્યું કે, આ સિદ્ધિ સાથે મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના કાર્યકાળને પણ પાછળ મૂક્યો છે. ‘કચ્છ ભૂકંપ પછી પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી’તેમણે જણાવ્યું કે, વર્ષ 2001માં જ્યારે મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે રાજ્ય અનેક પડકારો સામે ઝઝૂમી રહ્યું હતું. ખાસ કરીને કચ્છ ભૂકંપ પછી પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી, પરંતુ મજબૂત નેતૃત્વના કારણે કચ્છ આજે વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. ‘નર્મદા ડેમથી રાજ્યને વેગ મળ્યો’વિશ્વકર્માએ વધુમાં ઉમેર્યું કે, નર્મદા ડેમના કાર્યને પૂર્ણ કરવા માટે પણ કોઈ કસર રાખવામાં આવી નથી, જેનાથી રાજ્યના વિકાસમાં મોટો વેગ આવ્યો છે. તેમણે આ સમયગાળાને “રાષ્ટ્રસેવાનો સુવર્ણ અધ્યાય” ગણાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 2:32 pm

ગ્રાહક બની આવેલા ગઠિયાએ મોબાઈલ તફડાવ્યો.:ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો ₹15 હજારનો મોબાઈલ ચોરી પલાયન: જૂનાગઢમાં દુકાનદારની નજર ચૂકવી હાથફેરો કરવાની સમગ્ર ઘટના CCTVમાં કેદ.

જૂનાગઢના વ્યસ્ત ગણાતા કળવા ચોક વિસ્તારમાં ધોળા દિવસે ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોમવારે બપોરના સમયે એક અજાણ્યો યુવક ગ્રાહક બનીને મોબાઈલની દુકાનમાં પ્રવેશ્યો હતો અને દુકાનદારની નજર ચૂકવી ટેબલ પર પડેલો ₹15,000ની કિંમતનો મોબાઈલ ચોરી કરી રફુચક્કર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સોમવારે બપોરે જ્યારે દુકાનમાં ગ્રાહકોની અવરજવર હતી ત્યારે આ યુવક મોબાઈલ ખરીદવાના બહાને આવ્યો હતો. તેણે દુકાનદાર પાસે અલગ-અલગ મોડલ જોવા માટેની માંગણી કરી હતી.દુકાનદારે વિશ્વાસ રાખી તેને મોબાઈલ બતાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન યુવકે તક જોઈને ₹15,000ની કિંમતનો એક ડેમો મોબાઈલ પોતાના હાથમાં રાખ્યો હતો અને જેવો દુકાનદાર અન્ય કામમાં કે બીજા ગ્રાહક સાથે વ્યસ્ત થયો, કે તરત જ તેણે અત્યંત ચાલાકીથી મોબાઈલ પોતાના ખિસ્સામાં સરાવી દીધો હતો. ત્યારબાદ તે કોઈને શંકા ન જાય તે રીતે ચૂપચાપ દુકાનમાંથી બહાર નીકળી પલાયન થઈ ગયો હતો. થોડીવાર બાદ જ્યારે દુકાનદારે મોબાઈલની ગણતરી કરી ત્યારે એક હેન્ડસેટ ઓછો માલૂમ પડ્યો હતો. શરૂઆતમાં દુકાનદારને લાગ્યું કે કદાચ આસપાસના કોઈ અન્ય વેપારી મોબાઈલ જોવા માટે લઈ ગયા હશે, પરંતુ આજુબાજુમાં તપાસ કરતા કંઈ જાણવા મળ્યું નહોતું. અંતે શંકા જતાં દુકાનદારે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ફૂટેજ જોતા જ વેપારીના હોશ ઉડી ગયા હતા, કારણ કે જે યુવક ગ્રાહક બનીને આવ્યો હતો તે સ્પષ્ટપણે મોબાઈલ ચોરી કરતો નજરે પડ્યો હતો. આ મામલે મોબાઈલ દુકાનદાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. દુકાનદારે જણાવ્યું હતું કે, ગઠિયો એટલો શાતિર હતો કે તેણે કોઈને ખબર ન પડે તેમ સેકન્ડોના ભાગમાં જ હાથફેરો કરી લીધો હતો. હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી, તેના આધારે ગઠિયાની ઓળખ મેળવવા અને તેને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાથી સ્થાનિક વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 2:20 pm

વલસાડના 'મિની અયોધ્યા' રામજી મંદિરે રામ જન્મોત્સવની ઉજવણી:વિશ્વશાંતિ અને વડાપ્રધાનના દીર્ઘાયુ માટે વિશેષ પ્રાર્થના, ભગવાન શ્રીરામનો અભિષેક, શૃંગાર, મહાઆરતી કરાઈ

વલસાડના કોસંબા રોડ પર આવેલા 'મિની અયોધ્યા' રામજી મંદિરે રામનવમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભગવાન શ્રીરામના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી સાથે વિશ્વશાંતિ અને વડાપ્રધાનના દીર્ઘાયુ માટે વિશેષ પ્રાર્થના કરાઈ હતી. 350 વર્ષ જૂના આ ઐતિહાસિક મંદિરમાં ભગવાન શ્રીરામનો અભિષેક, શૃંગાર અને મહાઆરતીનું આયોજન થયું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. મંદિરના મહંત મહામંડલેશ્વર કિશોરદાસજી મહારાજે જણાવ્યું કે, વર્ષ 2016થી અહીં અયોધ્યાના ભવ્ય રામ મંદિરના મોડેલ જેવું જ આબેહૂબ મોડેલ તૈયાર હતું. અયોધ્યા મંદિરના નિર્માણ બાદ તેની સરખામણી થતાં લોકોએ તેને 'મિની અયોધ્યા' નામ આપ્યું છે. આ મંદિરનો ઇતિહાસ સાડા ત્રણસો વર્ષ જૂનો છે, જે દુધાધારી મહારાજથી શરૂ થયેલી પરંપરાનો ભાગ છે. હાલ નવમી પેઢીના સંતો અહીં સેવા આપી રહ્યા છે. આ સ્થળ સંતોની તપોભૂમિ ગણાય છે, જ્યાં વર્ષોથી ગૌસેવા અને સંત સેવાની પરંપરા જળવાઈ રહી છે. રામનવમી નિમિત્તે 5 થી 7 હજાર ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં ચાલી રહેલા યુદ્ધો અને અશાંતિના માહોલ વચ્ચે મહંતે વિશેષ પ્રાર્થના કરી. તેમણે જણાવ્યું કે, વિશ્વ સ્તર પર ચાલી રહેલા સંઘર્ષોમાંથી મુક્તિ મળે અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે ભગવાન રામના ચરણોમાં અપીલ કરાઈ છે. આ સાથે જ, દેશની સુરક્ષા અને સંસ્કૃતિને જાળવી રાખનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે પણ સંતો દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સાથે યોજાયેલી આ રામ જન્મોત્સવની ઉજવણી વલસાડ જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 2:18 pm

29-30 માર્ચે ગુજરાતમાં ફરી માવઠાની આગાહી:6 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા, બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ભર ઉનાળે માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 29 અને 30 માર્ચ આ બે દિવસ યલો એલર્ટ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉતર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 અને 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં, મહીસાગરમાં કમોસમી વરસાદની શક્યતા છે. રાજ્ય પર બે અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિયઆ 2 દિવસ દરમિયાન 30 થી 40 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા માવઠાની આગાહી કરવામાં આવી છે. એ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ પણ સમગ્ર ગુજરાત ઉપર અસર કરશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમના કારણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 28 અને 29 માર્ચે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણીઆગામી 7 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે. કોસ્ટલ દિશામાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશામાં પવન ફૂંકાશે. માછીમારો માટે હવામાન વિભાગે ચેતવણી આપી છે. આગામી 28 અને 29 માર્ચ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે સૌથી વધારે 38.5 ડિગ્રી અમરેલીમાં તાપમાન નોંધાયું છે. રાજકોટ 38 ડિગ્રી તાપમાન નોંધાયું.અમદાવાદ 37 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગર 36.5 ડિગ્રી તાપમાન નોંધાયું. લઘુતમ તાપમાન સૌથી ઓછું કંડલામાં 18.6 ડિગ્રી તાપમાન નોંધાયું.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 2:16 pm

ધો-11માં અભ્યાસ કરતો ફૂટબોલર કેનાલમાં તણાયો:વડોદરામાં વડાપાઉ ખાઈ કેનાલમાં હાથ ધોવા ઉતર્યો'તો; 4 કિમી દૂર મૃતદેહ મળ્યો

વડોદરા શહેરના સેવાસી વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં ગત(25 માર્ચ) રોજ વહેલી સવારે એક કિશોરનો પગ લપસી જતાં તણાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી શોધખોળ હાથ ધરી હતી. જો કે સાંજ સુધી ન મળતા આજે પાદરા નજીક બોડી દેખાતા જીઆઇડીસી ફાયરની ટીમે પહોંચી મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. કેનાલ પાસે વડાપાઉ ખાધોપ્રાપ્ત વિગતો અનુસાર ગત રોજ શહેરના અટલાદરાની જીપીએસ સ્કૂલના ધો.11 (સીબીએસઇ)માં ભણતો હર્ષવર્ધન ક્ષત્રી વડસર સ્થિત પોતાના ઘરેથી સવારે એક્ટિવા લઇને નીકળ્યો હતો. રસ્તામાં તેણે આ જ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થી ઓમ દુબેને પોતાની સાથે એક્ટિવા પર બેસાડયો હતો. તેઓ સવારે સેવાસી કેનાલ પાસે ગયા હતા અને ત્યાં વડાપાઉનો નાસ્તો કર્યો હતો. વડાપાઉ ખાઈ હાથ ધોવા કેનાલમાં ઉતર્યોત્યારબાદ મોં-ધોવા તે નજીકથી પસાર થતી કેનાલમા ઢાળવાળી જગ્યાએથી નીચે ઉતર્યો હતો. દરમિયાન તેનો પગ લપસતા તે સીધો જ નહેરના પાણીમાં ખાબક્યો હતો. તે દ્રશ્ય જોઈ સાથે રહેલ મિત ગભરાઈ ગયો હતો. લપસી કેનાલમાં પડ્યોઆ દરમિયાન તેણે પોતાના માતા-પિતાને જાણ કરી હતી. તેના વાલીઓએ તુરંત જ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જોકે લપસ્યા બાદ હર્ષવર્ધન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આજે સવારે મૃતદેહ બહાર કાઢ્યોઆ ઘટનાને લઈ તાત્કાલિક ફાયરબ્રિગેડના લાશ્કરોએ બોટ લાવીને તેની શોધખોળ હાથ ધરી હતી પણ રાત સુધી તેની કોઈ ભાળ મળી ન હતી. આ અંગે પોલીસે તેના મિત્ર ઓમની બનાવ અંગે પૂછપરછ કરીને બનાવની વધુ તપાસ હાથ ધરી હતી. આજે સવારે પાદરાના વડું જવાના રસ્તે કેનાલમાં બોડી દેખાતી હોવાની માહિતી મળતાં જ મકરપુરા જીઆઇડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બોડીને બહાર કાઢી પાદરા પોલીસને સોંપી હતી. મૃતક ફૂટબોલનો પ્લેયર હતોહર્ષવર્ધન ક્ષેત્રિય ફૂટબોલનો ઉમદા પ્લેયર હતો. તેણે ફૂટબોલની ક્લસ્ટર ટુર્નામેન્ટમાં પણ નોંધપાત્ર દેખાવ કર્યો હતો. તેની ભાળ ન મળતાં તેના મિત્રો પણ નિરાશ થયા હતા. જો કે આજે તેનો મૃતદેહ ચારથી પાંચ કિલોમીટર દૂરથી મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 દિવસમાં શહેર વિસ્તારમાંથી પસાર થતી કેનાલોમાંથી 5 વ્યક્તિઓ તણાયા છે. પોલીસે કાર્યવાહી હાથ ધરીઆ બનાવ અંગે પાદરા પોલીસે તાલુકા પોલીસને જાણ કરી છે. સાથે મૃતક કિશોરના પરિવારને પાદરા પોલીસે બોલાવી ઓળખ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 2:09 pm

ચોટીલા ચામુંડા મંદિરે ચૈત્ર નવરાત્રીના આઠમે ભક્તોનું ઘોડાપુર:ભક્તોએ વહેલી સવારે મંદિરે દર્શન કરી શીશ ઝુકાવી ધન્યતા અનુભવી

ચૈત્ર નવરાત્રીના આઠમા દિવસે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ચોટીલાનું ચામુંડા મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલા આ ડુંગર પર બિરાજમાન મા ચામુંડાને 64 જોગણી પૈકીના એક અવતાર માનવામાં આવે છે. નવરાત્રીના પવિત્ર દિવસોમાં અહીં ગુજરાતભરમાંથી અને ગુજરાત બહારથી પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. નવરાત્રી દરમિયાન, ખાસ કરીને પૂનમના દિવસે, ગુજરાતના વિવિધ ભાગોમાંથી માતાજીનો રથ લઈને પગપાળા સંઘો ચોટીલા પહોંચે છે. બગોદરાથી ચોટીલા અને વિરમગામથી ચોટીલા સુધીના નેશનલ હાઈવે તેમજ સ્ટેટ રોડ પગપાળા સંઘોથી ઉભરાઈ જાય છે. આ માર્ગો પર દર એક કિલોમીટરે સેવાભાવી મંડળો અને ગ્રામજનો દ્વારા ચા, પાણી, શરબત, નાસ્તો અને ભોજનના કેમ્પો શરૂ કરવામાં આવે છે. ખેતર-વાડીના માલિકો પણ પગપાળા સંઘોને રાત્રિ રોકાણ અને આરામ માટે પોતાની યથાશક્તિ પ્રમાણે વ્યવસ્થા પૂરી પાડે છે. ચોટીલાનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. પૌરાણિક કથા અનુસાર, હજારો વર્ષો પહેલાં ચંડ અને મુંડ નામના રાક્ષસોના ત્રાસથી પ્રજા અને ઋષિમુનિઓ પરેશાન હતા. ઋષિમુનિઓએ માતાજીની આરાધના કરી યજ્ઞ કર્યો, જેના ફળસ્વરૂપ હવનકુંડમાંથી દિવ્ય તેજ રૂપે મા આદ્યશક્તિનું પ્રાગટ્ય થયું હતું. આ આદ્યશક્તિએ બે અલગ સ્વરૂપ ધારણ કરીને ચંડ અને મુંડ રાક્ષસોનો વધ કર્યો. ત્યારથી માતાજી ચંડી અને ચામુંડા તરીકે ઓળખાયા અને ચોટીલાના ડુંગર પર જોડિયા સ્વરૂપે બિરાજમાન થયા. આ કારણે અહીં માતાજીના બે મુખ જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં નવરાત્રીનું પર્વ અતિ પ્રાચીન અને શ્રદ્ધાનું પ્રતીક છે. આ પર્વ માત્ર ઉપવાસ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આત્મશુદ્ધિ અને આદ્યશક્તિના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે. વર્ષની ચાર નવરાત્રીમાં આ ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્ત્વ સાધના સિદ્ધિ, આધ્યાત્મિક ઊર્જા વધારવા અને નવદુર્ગા ઉપાસના માટે ગણાય છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 2:07 pm

કલોલ-છત્રાલ હાઈવે ફરી રક્તરંજિત:બે બાઈક સામસામે અથડાતા એક યુવકનું કરૂણ મોત, એકની હાલત ગંભીર

અમદાવાદ-મહેસાણા હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. ગત મોડીરાત્રે કલોલ તાલુકાના છત્રાલ અને બિલેશ્વરપુરા વચ્ચે આવેલા સર્વિસ રોડ પર હેવી મેટલ કંપની પાસે બે બાઈક વચ્ચે થયેલી સામસામેની ટક્કરમાં એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એક બાઈક સવારનું મોત, એક ગંભીર રીતે ઘાયલપ્રાપ્ત વિગતો મુજબ, છત્રાલ પાસે આવેલા બિલેશ્વરપુરા વિસ્તારમાં સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલા બે બાઈક સવારો અંધારામાં એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે એક બાઈક ચાલક હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો, જેના કારણે તેનું માથાના તથા શરીરે ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આ અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત બાઈક સવારને તુરંત નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યો હતો. આ બનાવની જાણ થતા જ કલોલ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ અંગે પોલીસે જણાવ્યું કે ,અકસ્માતમાં કડીના ચાંદરસડા ગામના 30 વર્ષીય સુરજ દેવાજી ઠાકોરનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બાઇક સવારને પણ ઈજાઓ થઈ છે. મૃતકની લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રોડની ખખડધજ હાલત અને ગેરકાયદે કટના કારણે અકસ્માતતો સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અત્રેના હાઈવે અને તેની સમાંતર આવેલા સર્વિસ રોડની હાલત અત્યંત ખખડધજ અને બિસ્માર બની ગઈ છે. ઠેર-ઠેર પડેલા ખાડા, ખોટી રીતે અપાયેલા ઢોળાવ અને હાઈવે પર અનેક જગ્યાએ પાડવામાં આવેલા ગેરકાયદેસર કટ અકસ્માતનું મુખ્ય કારણ બની રહ્યા છે. આ ઉપરાંત રોડની બંને બાજુએ થયેલા દબાણોને કારણે વાહન ચાલકોને પૂરતી જગ્યા મળતી નથી. જેના કારણે વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. તંત્ર દ્વારા માત્ર ટોલ વસૂલવામાં આવે છે પરંતુ મુસાફરોની સુરક્ષા અને રોડની જાળવણી બાબતે ઉદાસીનતા સેવવામાં આવતી હોવાના આક્ષેપો કરાયા છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 1:59 pm

ગિફ્ટ સિટીમાં મહિલા ફિનટેક ઉદ્યોગસાહસિકોનો ઉદય:GIFT IFIH દ્વારા વિમેન ઇન્વેસ્ટમેન્ટ રેડિનેસ પ્રોગ્રામ હેઠળ સ્ટાર્ટઅપ્સને ગ્લોબલ ફંડિંગની તક

ગિફ્ટ સિટી (ગાંધીનગર) એ તેની ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (IFSC) ઇકોસિસ્ટમમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે એક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇનોવેશન હબ (GIFT IFIH) હેઠળ ‘વિમેન ઇન ફિનટેક એક્સીલરેટર’ પ્રોગ્રામ લૉન્ચ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સંચાલિત ફિનટેક સ્ટાર્ટઅપ્સને સંસ્થાગત મૂડી મેળવવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરી તેમને વૈશ્વિક સ્તરે સક્ષમ બનાવવાનો છે. સંસ્થાગત મૂડી અને માળખાકીય અવરોધોનો ઉકેલઆ પ્રોગ્રામ ખાસ કરીને એવા પડકારોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે જે મહિલા ઉદ્યોગસાહસિકોને ફંડિંગ મેળવતી વખતે નડે છે. રોકાણકાર નેટવર્ક સુધી મર્યાદિત પહોંચ અને પરંપરાગત ફંડિંગ સિસ્ટમના અવરોધોને દૂર કરવા માટે અહીં 'ઇન્વેસ્ટમેન્ટ રેડિનેસ પ્રોગ્રામ' ચલાવવામાં આવશે. છેલ્લા 1 વર્ષમાં GIFT IFIH એ ડિજિટલ બેંકિંગ અને ઇન્સ્યોરટેક જેવા ક્ષેત્રોમાં 37 સ્ટાર્ટઅપ્સને સફળતાપૂર્વક સપોર્ટ કર્યો છે. હાઇબ્રિડ મોડલ અને મેન્ટરશિપઆ એક્સીલરેટર હાઇબ્રિડ ફોર્મેટમાં ચાલશે. શરૂઆતમાં ગિફ્ટ સિટી ખાતે રૂબરૂ ટ્રેનિંગ આપવામાં આવશે અને ત્યારબાદ વર્ચ્યુઅલ માધ્યમથી રોકાણકારો સાથે જોડાણ કરવામાં આવશે. ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ સંજય કૌલે જણાવ્યું હતું કે, આ પહેલ દ્વારા ઉચ્ચ ક્ષમતા ધરાવતા મહિલા સ્ટાર્ટઅપ્સને ટકાઉ વિસ્તરણ માટે જરૂરી પ્લેટફોર્મ અને એક્સેસ પૂરી પાડવામાં આવશે. અહીં સ્ટાર્ટઅપ્સને સ્ટ્રક્ચર્ડ મેન્ટરશિપ અને રોકાણકારો સાથે સીધી ચર્ચા કરવાની તક મળશે, જે ભારતના ફાઇનાન્શિયલ સેક્ટરને વધુ મજબૂત બનાવશે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 1:56 pm

અટલાદરા મંદિરે 3245 વાનગીઓનો ભવ્ય અન્નકૂટ:સ્વામિનારાયણ ભગવાનના 245માં પ્રાગટ્ય પર્વે ભક્તોએ ઘરેથી લાવેલી વાનગીઓ પ્રભુ ચરણે ધરી

આજે ચૈત્ર સુદ નવમીના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનના 245માં પ્રાગટ્ય દિવસની વડોદરાના બી એ પી એસ સ્વામિનારાયણ મંદિર, અટલાદરા ખાતે અત્યંત ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ‘મારા ભગવાનને, મારા વાસણમાં, મારો થાળ’ના મધ્યવર્તી વિચાર સાથે એક વિશેષ અને ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હરિભક્તોનો અતૂટ ઉત્સાહ અને ભક્તિ જોવા મળી હતી. ભક્તોના ભાવથી સજ્જ 3245 વાનગીઓનો અન્નકૂટઆ મહોત્સવની વિશેષતા એ હતી કે ભાવિક ભક્તો પોતપોતાના ઘરેથી વિવિધ વાનગીઓ તૈયાર કરીને લાવ્યા હતા. આ અન્નકૂટમાં કુલ 3245 પ્રકારના વ્યંજનો પીરસવામાં આવ્યા હતા, જેમાં 825 પ્રકારની મીઠાઈઓ અને 2050 પ્રકારના ફરસાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૂકો મેવો, તાજા ફળો, મુખવાસ અને આધુનિક કેક જેવી વિવિધ સામગ્રીઓથી ભગવાનનો થાળ સજાવવામાં આવ્યો હતો. સવારે બરાબર 11.15 વાગ્યે સુંદર સજાવટ સાથે અન્નકૂટ ગોઠવીને પૂજ્ય સંતો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. રામનવમી નિમિત્તે ભગવાન રામલલ્લાની આરતીસ્વામિનારાયણ જયંતિની સાથે આજે રામનવમીનો પણ મંગલકારી દિવસ હોવાથી, બપોરે 12.00 વાગ્યે મંદિર પરિસરમાં ભગવાન રામલલ્લાની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. પૂજ્ય સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં રામજન્મોત્સવની ભવ્ય આરતી યોજાઈ હતી. સમગ્ર દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અન્નકૂટ અને ભગવાનના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 1:54 pm