SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

ભૈરવનાથ પરોઠા હાઉસમાં ગેસ લીકેજે જીવ અધ્ધર કર્યા:ભોજનાલયમાં જમવાનું બનતુ હતુ ને એકાએક ગેસનો બાટલો લીકેજ, અંદર કામ કરતો એક વ્યક્તિ દાઝ્યો

અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા ભૈરવનાથ પરોઠા હાઉસમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ચાર ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 15થી 20 મિનિટમાં પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લઈ લેવામાં આવી હતી. આગ લાગી ત્યારે બુઝાવવાના પ્રયત્ન દરમિયાન એક વ્યક્તિ દાઝી ગયો હતો, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવામાં આવી હતીમળતી માહિતી મુજબ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં ભૈરવનાથ પરોઠા હાઉસ આવેલું છે. જેમાં બપોરના સમયે આગ લાગવાની ઘટના બની હતી. પરોઠા હાઉસ ભોજનાલયમાં ગેસનો બાટલો લીકેજ થયો હતો, જેમાંથી આગ લાગવાની ઘટના બનતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી, નવરંગપુરા ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લઈ લેવામાં આવી હતી. ગેસના બાટલાઓ હોવાના કારણે આગ વધુ ન ફેલાય તેના માટે કામગીરી ઝડપી કરવામાં આવી હતી. જમવાનું બનાવતા હતા ત્યારે આગ ભભૂકી હતીઆગ લાગવાની ઘટના બની હતી ત્યારે છગનભાઈ નામના એક વ્યક્તિ હાજર હતા, તેઓએ ગેસ લીકેજથી આગ લાગતા બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. કામગીરી કરવા જતા તેઓ દાઝી ગયા હતા, જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરોઠા હાઉસમાં કોમર્શિયલ બાટલાઓનો ઉપયોગ કરી જમવાનું બનાવવાનું બનાવવામાં આવતું હતું, તે દરમિયાનમાં આગ લાગવાની ઘટના બની હતી.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 4:57 pm

અમરેલીમાં બાઇક અકસ્માત:2ના મોત, 3 ઇજાગ્રસ્ત; ધારી-બગસરા રોડ પરની ઘટના

અમરેલી જિલ્લામાં ધારી-બગસરા રોડ પર હામાપુર ગામ નજીક બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણ અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મૃતકોની ઓળખ પ્રવીણભાઈ વલ્લભદાસ અને દીનુભાઈ બ્લોચ તરીકે થઈ છે. તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને પણ વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ ધારી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસ હાથ ધરી છે અને પંચનામાની કાર્યવાહી કરી હતી. પોલીસે ઇજાગ્રસ્તોના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરી છે અને અકસ્માતનો ગુનો નોંધવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં અકસ્માતોની ઘટનાઓ સતત સામે આવી રહી છે, જેને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 4:56 pm

ગાંજો વેચનાર શખ્સને 5 વર્ષની કેદ અને 25 હજારનો દંડ:દહેગામના સામેત્રી ચાર રસ્તા પાસે ગલ્લામાં ગાંજાનો વેપાર કરતો

ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વર્ષ 2018માં દહેગામ તાલુકાના સામેત્રી ગામના ચાર રસ્તા પાસે લાકડાના કેબિનમાં છૂપી રીતે ગાંજાનો જથ્થો રાખી તેનું વેચાણ કરવાના ગુનામાં અજીતભાઇ ધનાજી ઠાકોરને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. જે કેસમાં ગાંધીનગરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ. વી. શર્મા એ આરોપીને 5 વર્ષની સખત કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. લાકડાની કેબિનમાં ગાંજાનો વેપાર કરતોઘટનાની વિગત મુજબ 18 નવેમ્બર 2018ના રોજ એસઓજી ટીમને બાતમી મળી હતું કે, રખિયાલથી પીપળજ રોડ પર સામેત્રી ચાર રસ્તા પાસે આવેલા લાકડાના કેબિનમાં અજીત ઠાકોર નામનો શખ્સ ગાંજાનો વેપાર કરે છે. 2 કિલો અને 8 ગ્રામ ગાંજો મળી આવ્યોઆ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તપાસ કરતા ગલ્લાના એક ખૂણામાંથી 'નિર્મા એડવાન્સ ડિટર્જન્ટ'ની થેલી મળી આવી હતી. જેમાંથી 2 કિલો અને 8 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. કોર્ટમાં ચાર્જશીટ ફાઇલઆરોપીની પૂછપરછમાં આ જથ્થો તેણે બહિયલ પાસેના નિર્માલી ગામના માધાભાઈ નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું ખુલ્યું હતું. બાદમાં ગુનાની તપાસના અંતે પોલીસે જરૂરી પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. 5 વર્ષની કેદ અને 25 હજારનો દંડજે કેસ ગાંધીનગરના એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ પ્રિતેશ ડી. વ્યાસે દલીલ કરેલી કે, માદક પદાર્થનો દુરુપયોગ એક સામાજિક દૂષણ છે જે સમાજને કોરી ખાય છે. માદક પદાર્થની હેરાફેરી દેશના અર્થતંત્ર પર વિપરીત અસર કરે છે અને યુવા પેઢી માટે હાનિકારક છે.​ સમાજમાં અનેક યુવાનો હાલ વ્યસની બની રહ્યા છે, જે સંપત્તિનો નાશ કરે છે. ​આવા ગુનેગારોને સખત સજા થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવા કૃત્યો અટકી શકે. જે દલીલો અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને રાખીને કોર્ટે આરોપી અજીતભાઇ ધનાજી ઠાકોરને પાંચ વર્ષની કેદની સજા અને 25 હજારનો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 4:52 pm

ભરૂચના દયાદરામાં વિદ્યાર્થીઓ પાસે બાળમજૂરી!:પ્રાથમિક શાળામાં બાળકોએ સિમેન્ટ-કોંક્રિટનો માલ બનાવ્યો, DEOની ટીમ દોડી ગઈ, જવાબદારો સામે કડક કાર્યવાહીના સંકેત

ભરૂચ જિલ્લાના દયાદરા ગામની સરકારી પ્રાથમિક શાળાનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. અભ્યાસ કરતા નિર્દોષ બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લાના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. એક જાગૃત નાગરિકે આ વીડિયો ઉતાર્યો હતો. વાઈરલ વીડિયોમાં વિદ્યાર્થીઓ શાળા પરિસરમાં સિમેન્ટ-કોંક્રિટનો માલ બનાવતા સ્પષ્ટપણે નજરે પડે છે, જે શિક્ષણના અધિકાર અને બાળમજૂરી પ્રતિબંધિત કાયદાના ઉલ્લંઘન તરફ આંગળી ચીંધે છે. જાગૃત નાગરિકે પોલ ખોલીમળતી વિગતો અનુસાર, શાળામાં ચાલી રહેલા વિકાસ કામો અથવા અન્ય કોઈ પ્રવૃત્તિ માટે બાળકોનો મજૂર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે. એક જાગૃત નાગરિકે આ સમગ્ર દ્રશ્યો મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યા હતા. આ વીડિયો સામે આવતા જ વાલીઓ અને શિક્ષણપ્રેમીઓમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે. આક્ષેપ છે કે રજૂઆત કરવા છતાં સંબંધિત શિક્ષકો પોતાની ભૂલ સ્વીકારવાને બદલે લૂલો બચાવ કરી રહ્યા છે. તપાસ બાદ કડક કાર્યવાહીની ખાતરીઆ ગંભીર મામલે ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારી સચિન શાહે જણાવ્યું હતું કે, દયાદરા ગામની શાળાનો વીડિયો ધ્યાન પર આવ્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક તપાસ ટીમની રચના કરવામાં આવી છે. જો તપાસમાં બાળકો પાસે મજૂરી કરાવવાનો આક્ષેપ સાચો ઠરશે, તો જવાબદારો સામે નિયમ મુજબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. હાલ પ્રાથમિક પૂછપરછમાં બાળકોએ પોતાની જાતે કામ કર્યું હોવાનું રટણ કર્યું છે, પરંતુ વિભાગ બાળકોના હિત અને સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરશે નહીં. સ્થાનિકોમાં ભારે આક્રોશહાલ શિક્ષણ વિભાગની ટીમ દ્વારા સ્થળ તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, સ્થાનિકો અને વાલીઓ માગ કરી રહ્યા છે કે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે, જેથી અન્ય શાળાઓમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 4:46 pm

જૂનાગઢની 14 વર્ષની દીકરીએ ઓસ્ટ્રેલિયામાં ભારતનો ડંકો વગાડ્યો:જેન્સી કાનાબારે ઓસ્ટ્રેલિયન ઓપન U-14 ટાઇટલ જીત્યું; આ ખિતાબ જીતનાર પહેલી ભારતીય પ્લેયર બની

શુક્રવારે ઓસ્ટ્રેલિયન ઓપન U-14 ટાઇટલ જીતીને જૂનાગઢની દીકરીએ સમગ્ર ભારતનું નામ રોશન કર્યું છે. તે આ ટાઇટલ જીતનાર પહેલી ભારતીય પ્લેયર બની છે. 14 વર્ષની આ ખેલાડીએ ફાઈનલમાં ખૂબ જ દૃઢ નિશ્ચય દર્શાવ્યો, ઓસ્ટ્રેલિયાની જ મુસેમ્મા સિલેકને 3-6, 6-4, 6-1થી હરાવીને ખિતાબ જીત્યો. શરૂઆતનો સેટ હાર્યા પછી જેન્સીએ લય શોધીઅગાઉ, શરૂઆતનો સેટ ગુમાવ્યા પછી અને બીજા સેટમાં 0-2થી પાછળ રહી ગયા પછી, જેન્સી શાંત રહી અને હાર ન માની. તેણે ધીમે ધીમે પોતાની લય શોધી, વધુ આત્મવિશ્વાસ સાથે રમી અને પ્રભાવશાળી કમબેક કરીને જીત મેળવવા માટે મેચને સંપૂર્ણપણે ફેરવી દીધી. જેન્સી કાનાબારે 2026 ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા-પેસિફિક એલીટ 14 અને અંડર ટ્રોફીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું, મેલબોર્ન પાર્ક ખાતે રાઉન્ડ-રોબિન સ્ટેજ પર પ્રભુત્વ મેળવ્યું. તેણે તેની બધી મેચ સીધા સેટમાં જીતીને ગ્રુપ-Aમાં 3-0ના સંપૂર્ણ રેકોર્ડ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. ઐતિહાસિક અભિયાન રહ્યુંનોકઆઉટ રાઉન્ડમાં જેન્સીનો કોન્ફિડન્સ વધતો ગયો. જાપાનની આઓઈ યોશિદા વિરુદ્ધ સેમીફાઈનલમાં જેન્સીએ ટુર્નામેન્ટનું પોતાનું સૌથી શાંત પ્રદર્શન કર્યું. પહેલા સેટનો ટાઈબ્રેકર 7-6(3) થી જીત્યો અને પછી મેચ 6-2 થી જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી. ત્યારબાદ તેણે સિલેક વિરુદ્ધ શાનદાર વાપસી કરીને ઐતિહાસિક ખિતાબ સાથે પોતાનું અભિયાન પૂર્ણ કર્યું. જેન્સી કાનાબાર કોણ છે?જેન્સી કાનાબાર ભારતની સૌથી પ્રતિભાશાળી યુવા ટેનિસ ખેલાડીઓમાંથી એક છે અને તે જુનિયર રેન્કિંગમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. તે જૂનાગઢની વતની છે અને તેણે નાની ઉંમરથી જ ટ્રેનિંગ લેવાની શરૂઆત કરી દીધી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં, તેણે જુનિયર સર્કિટ પર તેની મજબૂત નિષ્ઠા અને સતત સુધારાનું શાનદાર પ્રદર્શન કર્યું છે. વુમન્સ સિંગલ્સ રેન્કિંગમાં પણ જગ્યા બનાવીજેન્સીની સફળતા તેના રેન્કિંગમાં પણ પ્રતિબિંબિત થાય છે, જેમાં તેણે AITA ગર્લ્સ અંડર-14 અને અંડર-16 બંને કેટેગરીમાં નંબર-1નું સ્થાન મેળવ્યું છે. વર્ષ 2026ની શરૂઆત સુધીમાં, તેણે AITA વુમન્સ સિંગલ્સ રેન્કિંગમાં પણ પોતાની જગ્યા બનાવી લીધી હતી. જુનિયર ઇવેન્ટ્સ ઉપરાંત, જેન્સીએ સિનિયર લેવલ પર પણ પ્રભાવ પાડ્યો છે. માત્ર 14 વર્ષની વયે, તેણે ITF વુમન્સ સર્કિટ પર ડેબ્યૂ કર્યું અને સ્ટ્રેટ-સેટમાં જીત મેળવીને W15 ટૂર્નામેન્ટના મેઈન ડ્રો માટે ક્વોલિફાય કર્યું. મેદાન પર તેની શિસ્ત, એકાગ્રતા અને મજબૂત માનસિકતા તેને ભારતીય ટેનિસની સૌથી તેજસ્વી યુવા આશાઓમાંની એક તરીકે સ્થાપિત કરી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 4:44 pm

સંખેડાના ભાટપુરમાં રૂ. 5.25 લાખનો વિદેશી દારૂ પકડાયો:પોલીસે સંદીપ તડવીની ધરપકડ કરી, 2078 બોટલ જપ્ત

છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ભાટપુર ગામમાં એક બંધ મકાનમાંથી રૂ. 5,25,616/- નો વિદેશી દારૂ ઝડપાયો છે. સંખેડા પોલીસે આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સંખેડા પી.આઇ. ભરત ચૌહાણને બાતમી મળી હતી કે ભાટપુર ગામના વડ ફળિયામાં આવેલા સંદીપભાઈ ઉર્ફે ભયલુ નાનજીભાઈ તડવીના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે. આ બાતમીના આધારે પોલીસે એક ટીમ બનાવી દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂની કુલ 2078 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 5,25,616/- આંકવામાં આવી છે. પોલીસે દારૂ સહિત કુલ રૂ. 5,30,616/- નો મુદ્દામાલ જપ્ત કરી સંદીપભાઈ ઉર્ફે ભયલુ નાનજીભાઈ તડવીની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટા ઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી અહીં વિદેશી દારૂની હેરાફેરીના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવવા સતત કાર્યરત છે. સંખેડા પોલીસે ફરી એકવાર દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 4:36 pm

AAP જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની 'પાસા' હેઠળ ધરપકડ:ભેસાણથી અટકાયત કરી મધરાતે અમદાવાદ જેલ મોકલાયા, વિસાવદરમાં છેડતી અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી

જૂનાગઢ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) ના પ્રમુખ અને સ્થાનિક રાજકારણમાં જાણીતા ચહેરા એવા હરેશ સાવલિયાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત મોડી રાત્રે અંદાજે 2 વાગ્યે જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે હરેશ સાવલિયાની ભેસાણ ખાતેથી 'પાસા' હેઠળ ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસ કાફલા દ્વારા તેમને તાત્કાલિક અમદાવાદની સાબરમતી જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ​વિસાવદર ખાતેનો વિવાદ અને એટ્રોસિટીની ફરિયાદ હરેશ સાવલિયા સામેની કાયદેસરની કાર્યવાહીની શરૂઆત વિસાવદર તાલુકાના માંડાવડ મગફળી ખરીદ કેન્દ્ર પર થયેલા હોબાળાથી થઈ હતી. ડિસેમ્બર 2025ના અંતિમ સપ્તાહમાં હરેશ સાવલિયા અને તેમના સાથીઓ પર મગફળી કેન્દ્ર ખાતે ખેડૂતો પાસેથી કથિત રીતે પૈસા ઉઘરાવવા અને દાદાગીરી કરવાના આક્ષેપો થયા હતા. આ ઘટનામાં એક મહિલા શ્રમિક સાથે ગેરવર્તણૂક કરવાના અને જ્ઞાતિસૂચક અપશબ્દો બોલવાના આરોપસર વિસાવદર પોલીસ મથકમાં તેમની વિરુદ્ધ એટ્રોસિટી અને છેડતીની કલમો હેઠળ ગંભીર ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે તેમની ધરપકડ કરી જૂનાગઢ જેલમાં રાખવામાં આવ્યા હતા. ​જૂનાગઢ જેલમાં હિંસક અથડામણ અને હત્યાની કોશિશનો ગુનો હરેશ સાવલિયા જ્યારે જૂનાગઢ જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ હતા ત્યારે જાન્યુઆરી 2026માં જેલ પરિસરમાં જ અન્ય કેદીઓ સાથે તેમની લોહિયાળ અથડામણ થઈ હતી. મળતી વિગતો મુજબ સાગર ચાવડા નામના કેદી સાથે સામાજિક બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. હરેશ સાવલિયાએ કથિત રીતે ગટરના ઢાંકણા વડે હુમલો કરી કેદીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ મથકમાં હત્યાની કોશિશ (Attempt to Murder) અને ફરીથી એટ્રોસિટીની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. સામા પક્ષે હરેશ સાવલિયા પર પણ અન્ય કેદીઓએ હુમલો કર્યો હતો, જેમાં તેઓ ઈજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ​તંત્રની આકરી કાર્યવાહીએક પછી એક નોંધાયેલા ગુનાઓ અને જેલમાં થયેલી હિંસક ઘટનાને ધ્યાને રાખી જૂનાગઢ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હરેશ સાવલિયાને 'અસામાજિક તત્વ' ગણી તેમની સામે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. કલેક્ટર દ્વારા આ દરખાસ્ત મંજૂર કરાતા, LCBએ મધરાતે ઓપરેશન પાર પાડી ભેસાણથી તેમની અટકાયત કરી હતી. સામાન્ય રીતે પાસા હેઠળની ધરપકડમાં આરોપીને પોતાના જિલ્લાથી દૂરની જેલમાં રાખવાનો નિયમ હોવાથી તેમને સાબરમતી જેલ, અમદાવાદ ખાતે મોકલી દેવાયા છે. ​આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓએ આ કાર્યવાહીને રાજકીય કિન્નાખોરી ગણાવી છે, જ્યારે પોલીસ તંત્ર તેને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેનું પગલું ગણાવી રહ્યું છે. હાલ તો હરેશ સાવલિયા સાબરમતી જેલના સળિયા પાછળ છે અને આ મામલે આગામી દિવસોમાં કાયદાકીય લડત તેજ બને એવા સંકેતો છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 4:32 pm

વિજલપોર ઓવરબ્રિજનું કામ 5 વર્ષથી અધૂરું:સ્થાનિકોને સમસ્યા, કમિશનરે 31 માર્ચ સુધીમાં પૂર્ણ કરવાની ખાતરી આપી

નવસારીના વિજલપોર વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનું કામ વિલંબમાં છે. આના કારણે ડાયવર્ઝનવાળા માર્ગો પર ટ્રાફિક અને ધૂળની સમસ્યાથી સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ આ કામગીરી 31 માર્ચ સુધીમાં પૂર્ણ કરવાની ખાતરી આપી છે. વિજલપોર રેલવે ફાટક દાંડી રોડને નવસારી રેલવે સ્ટેશન સાથે જોડતા મુખ્ય માર્ગ પર આવેલું છે. આ ફાટક પર છેલ્લા પાંચ વર્ષથી ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેની ગતિ ધીમી હોવાનું જણાઈ રહ્યું છે. મુખ્ય માર્ગ પર પીલર બનાવવાનો હોવાથી રાધેપાર્ક તરફના ટીપી રોડ પર વાહનવ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝનની સમયમર્યાદા વીતી ગઈ હોવા છતાં કામગીરી પૂર્ણ થઈ નથી. પરિણામે, રાધે પાર્ક સોસાયટી, ક્રિષ્ના પાર્ક અને ગોપાલનગર જેવા વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ વધ્યું છે. ડાયવર્ઝન તરીકે ઉપયોગમાં લેવાઈ રહેલા રસ્તાઓ જર્જરિત બન્યા છે, જેના કારણે ધૂળની ડમરીઓ ઉડે છે. આ ખખડધજ રસ્તાઓ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા રસ્તાઓની ખરાબ સ્થિતિ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી આ મામલે જણાવે છે કે આ જે રેલવે ઓવરબ્રિજ બની રહ્યો છે જેની કામગીરી NH સ્ટેટ ડિવિઝન ભરૂચ દ્વારા કરવામાં આવી રહી છે. અમે પણ વચ્ચે જે છે બે ત્રણ વખત રિવ્યુ લીધો છે અને હવે લોકોએ જે છે અમને ખાતરી આપી છે કે 31 માર્ચ સુધી આ કામગીરી કમ્પ્લીટ કરી દેશે અને આના જ ભાગરૂપે જે છે આ લોકોની રિકવેસ્ટ ઉપર લેટર ઉપર અમારે ત્યાંથી જે છે અમે ડાયવર્ઝન આપવામાં આવ્યો હતો અને આ લોકોની રિકવેસ્ટ હતી આ મુજબ અમે તાત્કાલિક ડાયવર્ઝન આપ્યું હતું, ત્યારે ડાયવર્ઝનમાં જે છે અમે રોડનું કામ કરાવ્યું હતું પણ અગર ત્યાં ખાડા છે તો અમે ચેક કરાવીશું અને પ્રોપર થાય અને જે છે અમે ઇન્સ્યોર કરીશું કે ત્યાં ટ્રાફિકમાં કોઈ મુશ્કેલી ના નડે. કામગીરીમાં ઢીલાશ જોવાઈ રહી છે ઘણો ટાઈમ થઈ ગયો છે બ્રિજ બની રહ્યો છે લગભગ પાંચ વર્ષ જેવા થઈ જવાના પણ હજુ સુધી પત્યું નથી તો શું એમાં આપણે ધ્યાન આપશું? આમાં અમે અમારી જ્યારે આર.એન્ડ.બી. સાથે ચર્ચા થઈ ત્યારે આ લોકોનું કહેવું હતું કે આમાં ઇનિશિયલ એજન્સી સાથે ઇશ્યૂ હતા, એ ઇશ્યૂ રિઝોલ્વ કર્યા પછી એ લોકોએ કામગીરી ચાલુ કરી, પછી અમુક રેલવેની એક-બે એનઓસીનો ઇશ્યૂ હતો જેના કારણે થોડું ડીલે થયો છે. પણ અત્યારે જે છે એ લોકોએ અમને ખાતરી પણ આપી છે, એજન્સીને પણ અમે અહીંયા બોલાવીને પણ કીધું આની જે છે હાજરીમાં જ મીટિંગ કરી કે લોકોને હેરાનગતિ નહીં થાય અને ઝડપથી પૂરો થાય અને કોર્પોરેશન તરફથી જે સહયોગ આપને જોઈતો હોય એ અમે આપીએ. આની રિકવેસ્ટ હતી કે સાહેબ ડાયવર્ઝન અત્યારે કરી શકીએ તો અમે સીસી રોડ જે છે આ બાજુનો એપ્રોચ રોડ એ બનાવી શકીએ. તો આ ડાયવર્ઝન પણ અમે આપ્યું છે અને હવે જે છે 31 માર્ચ સુધી કામગીરી થઈ જશે એવી ખાતરી એ લોકોએ અમને આપી છે. રાધે પાર્ક સોસાયટીના રહેવાસી મહેન્દ્ર લાડ જણાવે છે કે, છેલ્લા ત્રણ-સાડા ત્રણ વર્ષથી વિજલપોર ઓવરબ્રિજનું કામ શરૂ છે અને છેલ્લા સવા મહિનાથી બ્રિજનું કામ શરૂ હોવાથી અમારી સોસાયટીમાંથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેના લીધે અમારી સોસાયટીમાં ટ્રાફિક અને ધૂળ-માટીની સમસ્યા બહુ વધી ગઈ છે. જેના લીધે અમારા છોકરાઓ પણ બહાર સોસાયટીમાં ફરી નથી શકતા, અમારા જે વૃદ્ધો છે જે રાતના ચાલવા નીકળે છે તે લોકો પણ ફરી નથી શકતા કારણ કે એક્સિડન્ટનો ભય બહુ વધી ગયો છે. તો મારે મહાનગરપાલિકાને એક જ કહેવું છે કે વહેલામાં વહેલું આ કામ પૂરું કરીને આ ધૂળ-માટી અને ટ્રાફિકમાંથી અમારી સોસાયટીને મુક્તિ આપે. ગોપાલનગરમાં રહેતાં કાજલ પટેલ જણાવે છે કે, અમારી એ જ સમસ્યા છે કે જે ઓવરબ્રિજનું કામ ચાલે છે એના નીચેનો જે સર્વિસ રોડ છે અને ઓવરબ્રિજનું કામ પણ પાંચ વર્ષથી ચાલે છે એ વહેલા પૂરું નથી કરતા. સર્વિસ રોડમાં પણ બહુ જ ખાડા પડ્યા છે, તો અમારી એ સમસ્યા છે કે પછી પહેલા ઓવરબ્રિજ સારી રીતે બનાવી દેવો વહેલો અને જે નીચેનો સર્વિસ રોડ છે ને એ પણ તમે કરો. જે ડાયવર્ઝન આપ્યું છે ને એમાં પણ એ રસ્તો નથી સારો. અમારા બાળકોને લઈને અમે જ્યાં જવા માંગીએ છીએ ને તો અમારા બાળકો સાથે અમને જવાનો પણ ડર લાગે છે, એટલા ખાડા છે નીચે રસ્તામાં અને અમારે બધી જ સમસ્યાનો સામનો કરવો પડે છે કારણ કે લેડીઝ થઈને અમારે બધું જ કરવા પડે છે. તમે આ રીતે જે રસ્તાનું કામ કરો છો તે થોડુંક અહીંયા કરો છો, થોડુંક ત્યાં કરો છો, પછી તમે સ્ટોપ કરી દો છો અને પહેલા તમે પૂરું કામ નથી કરતા.પાલિકાને એટલું જ કહેવા માંગુ છું કે જે મહાનગરપાલિકા થઈ ગયું છે હવે તો તમારે અમારી પાસે તમે એટલો બધો ટેક્સ વસૂલો છો, તો પછી અમારી એટલી સમસ્યા છે કે તમે પહેલા રસ્તાનું ક્લિયર કામ કરો. અમને પણ સારું લાગે અને જે પ્રેગ્નેન્ટ લેડી છે ને એ લોકોને બહુ જ તકલીફ પડે છે. પ્રેગ્નેન્ટ લેડીએ જે પણ કંઈ કરવું પડે છે એના માટે સિટીમાં જવું પડે છે અને રસ્તામાં એટલું ટ્રાફિક થઈ જાય છે કે જે સામેથી વાહન આવતું હોય ને તો અમારે સ્ટોપ થઈ જવું પડે છે, બે સામસામે વાહન પણ નથી જઈ શકતા.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 4:31 pm

NSUIએ રજીસ્ટ્રાર ઓફિસ અને એક્ઝામ ડિપાર્ટમેન્ટને તાળાબંધી કરી:પોલીસ યુનિ. ટાવર નીચે રાહ જોઈ રહી ને NSUIના કાર્યકર્તાઓએ નજર ચૂકવી ટાવરમાં ઘૂસી વિરોધ નોંધાવ્યો

ગુજરાત યુનિવર્સિટી ટાવરમાં NSUIના કાર્યકર્તાઓએ રજીસ્ટ્રાર ઓફિસને તાળાબંધી કરી હતી. યુનિવર્સિટી ટાવરમાં આવેલા એક્ઝામિનેશન ડિપાર્ટમેન્ટને પણ NSUIના કાર્યકર્તાઓએ તાળા મારી વિરોધ નોંધાવ્યો હતો. યુનિવર્સિટીના કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ યુનિવર્સિટી ટાવર બહાર વિરોધ પ્રદર્શનની રાહ જોઈ રહી હતી. ત્યાં કેટલાક NSUIના કાર્યકર્તાઓએ પોલીસની નજર ચૂકવી તાળાબંધી કરતા પોલીસ દોડતી થઈ હતી. જે બાદ પોલીસે યુનિવર્સિટી ટાવરમાં જઈને NSUIના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. એકપણ કર્મચારી સમયસર હાજર ન રહેતા હોવાનો આક્ષેપગુજરાત યુનિવર્સિટીમાં એકપણ કર્મચારી સમયસર હાજર ન રહેતા હોવાનો NSUI એ આક્ષેપ કર્યો છે. કુલપતિ સહિત જવાબદાર અધિકારીઓ પણ સમયસર ઓફિસમાં હાજર ન રહેતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેને લઈને NSUI વિરોધ પ્રદર્શન કરી કુલપતિ અને રજીસ્ટાર ઓફિસની તાળાબંધી કરવાનું હતું. જેથી યુનિવર્સિટી ટાવર આસપાસ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓ ટાવરના નીચે ભાગે જ NSUIના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરે તેવી ધારણા સાથે નજર રાખી રહ્યા હતા. તેમજ ટાવરમાં જવાના દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. જો કે પોલીસની હાજરી હોવા છતાં કેટલાક NSUIના કાર્યકર્તાઓ નજર ચૂકવી યુનિવર્સિટી ટાવરમાં ઘૂસી ગયા હતા. પોલીસની હાજરી છતાં NSUI કાર્યકર્તા યુનિવર્સિટીમાં ઘૂસી ગયા હતાપોલીસને આવી આશા હતી કે NSUIના કાર્યકર્તાઓ યુનિવર્સિટીમાં ટાવર નીચે વિરોધ કરીને જતા રહેશે. પરંતુ પીઆઈ અને અન્ય પોલીસ કર્મચારીઓ હાજર હોવા છતાં NSUIના કાર્યકર્તાઓ યુનિવર્સિટીમાં ઘૂસી ગયા હતા. ટાવરમાં પ્રવેશ્યા બાદ NSUIના કાર્યકર્તાઓએ રજીસ્ટ્રાર ઓફિસની તાળાબંધી કરી દીધી હતી. તેમજ જ્યાં કર્મચારીઓ સમયસર નથી આવતા તેવા એક્ઝામિનેશન ડિપાર્ટમેન્ટને પણ સાંકળ બાંધી તાળા મારી દેવામાં આવ્યા હતા. તાળાબંધીની ઘટના સામે આવતાં જ પોલીસ તંત્ર દોડતું થયું હતું. પોલીસ અધિકારીઓ તાત્કાલિક યુનિવર્સિટી ટાવરમાં પહોંચ્યા હતા. NSUIના કાર્યકર્તા અને પોલીસ વચ્ચ ઘર્ષણ અને ખેંચાતાણNSUIના કેટલાક કાર્યકર્તાઓએ રજીસ્ટ્રાર ઓફિસને તાળાબંધી કરી દીધી હતી. જે બાદ પોલીસે રોકવા જતા NSUIના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચ ઘર્ષણ અને ખેંચાતાણી પણ જોવા મળી હતી. જો કે તે બાદ પોલીસે યુનિવર્સિટી ટાવરમાં પ્રવેશી NSUIના કાર્યકર્તાઓની ટીંગાટોળી અટકાયત કરી હતી. યુનિવર્સિટી ટાવરથી NSUIના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને નીચે લાવીને અટકાયત કરવામાં આવી હતી. જો કે તાળાબંધી કરવામાં આવતા કર્મચારીઓ અંદર ફસાઈ ગયા હતા. જેથી પોલીસે સાંકળથી કરેલી તાળાબંધી લોક તોડીને દરવાજો ખોલવામાં આવ્યો હતો. રજીસ્ટ્રાર ઓફિસની તાળાબંધી કરી વિરોધ કરાયોNSUIના કાર્યકર્તાઓ વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા જ રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીનો જે સમય છે ત્યારે એકપણ અધિકારી સમયસર આવતા નથી. કુલપતિ સહિતના અધિકારીઓ સમયસર હાજર રહેતા નથી. આજે રજીસ્ટ્રાર ઓફિસની તાળાબંધી કરી વિરોધ કરવામાં આવ્યો હતો. આગામી દિવસમાં કોઈ અધિકાર હાજર નહીં રહે તો અને કોઈ પગલા નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરીશું. તેમજ અધિકારો ખાલી ખોટો પગાર લઈ રહ્યા છે. જમવા જાય તો 4 વાગ્યા સુધી તો આવતા પણ નથી. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હેરાન થતા હોવાથી તાળાબંધી કરીને વિરોધ નોંધવામાં આવ્યો છે. સવારે 10:30 વાગ્યાનો સમય છે છતાં કોઈ સમયસર હાજર રહેતું નથી.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 4:26 pm

વડોદરામાં રેંટિયો કાંતણ સાથે ગાંધીજીને શ્રદ્ધાંજલિ:નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની હાજરીમાં વિદ્યાર્થીઓએ ભજન ગાઈ સત્ય અને અહિંસાના પાઠ શીખ્યા

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે વિશેષ પ્રાર્થના સભા અને રેંટિયો કાંતણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમિતિ સંચાલિત તમામ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાપુના આદર્શોને યાદ કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત ભજન અને પ્રાર્થનાથી થઈ હતી, ત્યારબાદ ૨ મિનિટનું મૌન પાળી ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અને સુતરની આંટી અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. મહાનુભાવોની ઉપસ્થિતિ અને માર્ગદર્શન આ કાર્યક્રમમાં અધ્યક્ષ આદિત્યભાઈ પટેલ, ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર અને શાસનાધિકારી ડો. વિપુલ ભરતિયા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સમિતિના સભ્યો નીપાબેન પટણી, રણજીતભાઈ રાજપુત, ડો. શર્મિષ્ઠા સોલંકી અને નિલેશભાઈ કહારની પણ ગૌરવપૂર્ણ હાજરી રહી હતી. મહાનુભાવોએ બાપુના જીવનમૂલ્યોને આજના સમયમાં પણ પ્રસ્તુત ગણાવ્યા હતા. સ્વદેશી અપનાવવાનો અને અહિંસાનો સંદેશ શ્રદ્ધાંજલિ બાદ અધ્યક્ષ દ્વારા પ્રતીકાત્મક રીતે રેંટિયો કાંતવામાં આવ્યો હતો. તેમણે સંબોધનમાં જણાવ્યું કે સત્ય અને અહિંસાના માર્ગે ચાલવું એ જ બાપુને સાચી અંજલિ છે. તેમણે વધુમાં સ્વદેશી વસ્તુઓના ઉપયોગ પર ભાર મૂકતા ઉમેર્યું કે આત્માવલોકન સાથે જીવનમાં પ્રગતિ કરવી એ સમયની માંગ છે. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને રાષ્ટ્રગીત સાથે સમાપન થયું હતું.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 4:21 pm

ધ્રોલના ચકચારી દિવ્યરાજસિંહ મર્ડરનો કેસ:અનિરુદ્ધસિંહ સોઢા, ઓમદેવસિંહ જાડેજા સહિતના તમામ આરોપીઓનો નિર્દોષ છૂટકારો, દિનદહાડે 7 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરાઈ હતી

ધ્રોલના ત્રિકોણ બાગ વિસ્તારમાં દિનદહાડે થયેલી ખનીજ ઉદ્યોગપતિ દિવ્યરાજસિંહ જાડેજાની હત્યાના કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ ચકચારી કેસમાં મુખ્ય આરોપી ગણાતા અનિરુદ્ધસિંહ સોઢા, ઓમદેવસિંહ જાડેજા સહિતના તમામ આરોપીઓનો નિર્દોષ છૂટકારો કરવામાં આવ્યો છે. ઘટનાની પૃષ્ઠભૂમિ અને પોલીસ તપાસધ્રોલના ભરચક વિસ્તારમાં કારમાં આવેલા હુમલાખોરોએ દિવ્યરાજસિંહ પર 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે ગણતરીના કલાકોમાં જ મોરબી પંથકમાંથી અનિરુદ્ધસિંહ ઉર્ફે અનોપસિંહ સોઢા અને મુસ્તાક પઠાણને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, જમીનના નાણાંની વહેંચણી અને પડધરી ટોલ નાકે ટોલ ટેક્સ ઉઘરાવવા બાબતે ચાલી રહેલી તકરારને કારણે આ હત્યાનું કાવતરું 1.5 મહિના પહેલા ઘડવામાં આવ્યું હતું. આ માટે શાર્પશૂટરોને સોપારી આપવામાં આવી હોવાનું પણ ખુલ્યું હતું. વેરઝેર અને સોપારીનું કાવતરુંપોલીસના જણાવ્યા અનુસાર, દિવ્યરાજસિંહ અને ઓમદેવસિંહ વચ્ચે જમીનના સોદામાં પૈસાની લેતીદેતી અંગે વિવાદ ચાલતો હતો. આ ઉપરાંત, અગાઉ ટોલટેક્સ મુદ્દે થયેલી માથાકૂટમાં દિવ્યરાજસિંહે અનિરુદ્ધસિંહને માર મારી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ અપમાનનો બદલો લેવા અનિરુદ્ધસિંહે ઓમદેવસિંહ સાથે હાથ મિલાવ્યા હોવાનો પોલીસે દાવો કર્યો હતો. શાર્પશૂટરોની વ્યવસ્થા: ઓમદેવસિંહ જાડેજાએ સોનુ અને બબલુ નામના શાર્પશૂટરોને સોપારી આપી બોલાવ્યા હતા. રેકી: આ હત્યા માટે યોગ્ય સમય અને સ્થળ નક્કી કરવા નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો જાડેજાએ દિવ્યરાજસિંહની રેકી કરી હતી. હથિયાર સપ્લાય: હત્યામાં વપરાયેલા હથિયારો હરિયાણાના પલવલના અજીત ઠાકુર પાસેથી મંગાવવામાં આવ્યા હતા. ગુનાઈત ઈતિહાસ અને ફોરેન્સિક પુરાવાપોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે પકડાયેલા આરોપીઓ પૈકી અનિરુદ્ધસિંહ સામે રાજકોટ, જામનગર અને ચોટીલામાં અનેક ગુના નોંધાયેલા છે. જ્યારે મુસ્તાક પઠાણ સામે ખૂનની કોશિશ અને દારૂના મળી કુલ 7 ગુનાઓ નોંધાયેલા છે. ઘટનાસ્થળેથી પોલીસને 7 ખાલી ખોખા મળી આવ્યા હતા. મેડિકલ રિપોર્ટ અનુસાર, 7 રાઉન્ડ ફાયરિંગમાંથી 3 બુલેટ શરીરની આરપાર નીકળી ગઈ હતી, જ્યારે અન્ય ગોળીઓ ગળા અને છાતીના ભાગે વાગી હતી.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 4:17 pm

સ્કૂલોમાં ડમી શિક્ષકો અટકાવવા ફેસ રીડિંગ:જીઓ ફેસિંગ એટેન્ડન્સ લાગુ કરવાની તૈયારી, ભરતી પ્રક્રિયા પર વિધાનસભા સમિતિની નજર

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટે રચાયેલી વિધાનસભાની સમિતિની બેઠક ગુજરાત વિધાનસભા સચિવાલયમાં યોજાઈ હતી. બેઠકમાં શિક્ષણ વિભાગ, તાલુકા શિક્ષણ અધિકારીની ભરતી, કેળવણી નિરીક્ષકની પરીક્ષા પ્રક્રિયા તેમજ સરકારી યોજનાઓના અમલ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. જીઓ ફેસિંગ એટેન્ડન્સ સિસ્ટમ અમલમાં લાવવા ભલામણસમિતિએ શાળાઓમાં ડમી શિક્ષકોની સમસ્યા દૂર કરવા માટે ફેસ રીડિંગ અને જીઓ ફેસિંગ આધારિત હાજરી સિસ્ટમ અમલમાં લાવવા ભલામણ કરી હતી. ઉપરાંત, શાળાઓના બિલ્ડિંગના બાંધકામ સમયસર પૂર્ણ થાય અને વધુમાં વધુ એક વર્ષમાં નવું શૈક્ષણિક આયોજન શક્ય બને તે માટે પણ સૂચનો કરવામાં આવ્યા. નિરીક્ષકની ભરતીની જાહેરાત માટે સૂચના આપવામાં આવીબેઠક દરમિયાન તાલુકા શિક્ષણ અધિકારીઓની પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાનું અને પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાનું જણાવાયું હતું. જ્યારે કેળવણી નિરીક્ષકની ભરતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડને જાહેરાત માટે સૂચના આપવામાં આવી હોવાનું પણ સ્પષ્ટ કરાયું. સરકારી યોજનાઓના લાભાર્થીઓની માહિતી તપાસ કરાઈપંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત અધિકારીઓની સંખ્યા, ખાલી જગ્યાઓ અને સરકારી યોજનાઓના લાભાર્થીઓ અંગેની માહિતીની પણ સમિતિ દ્વારા તપાસ કરવામાં આવી. જરૂરી સાહિત્ય સમયસર રજૂ ન થવાને કારણે સંબંધિત વિભાગોને તાકીદ કરવામાં આવી હતી. આગામી બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશેસમિતિએ સ્પષ્ટ કર્યું કે સુપ્રીમ કોર્ટના માર્ગદર્શિકા અનુસાર રજૂ થયેલા તમામ અહેવાલોના આધારે આગામી બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 4:16 pm

બોટાદમાં શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અપાઈ:સરકારી કચેરીઓમાં બે મિનિટનું મૌન પાળી શહીદોને યાદ કરાયા

બોટાદ જિલ્લામાં શહીદ દિવસ નિમિત્તે મહાત્મા ગાંધીજી અને દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે બે મિનિટનું મૌન પાળી શહીદોના બલિદાનને યાદ કરાયું હતું. આ પ્રસંગે બોટાદ કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળી શહીદ વીરોના યોગદાનને સ્મરણ કર્યું હતું. આ ઉપરાંત રાણપુર, બરવાળા અને ગઢડાની પ્રાંત કચેરીઓ તેમજ બોટાદ તાલુકા કચેરી ખાતે પણ અધિકારીઓ, કર્મચારીઓ અને ઉપસ્થિત નાગરિકોએ શાંતિપૂર્વક બે મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. શહીદ દિવસના આ અવસરે દેશની એકતા, અખંડિતતા અને સ્વતંત્રતા માટે બલિદાન આપનાર મહાન વીરોના આદર્શોને યાદ કરવામાં આવ્યા હતા. આ સાથે તેમના માર્ગ પર ચાલવાની પ્રતિજ્ઞા પણ વ્યક્ત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 4:14 pm

પાટણ ફિલ્ટર પ્લાન્ટની ટાંકી જર્જરિત, પાણીનો વેડફાટ:નવી ટાંકી બિનઉપયોગી, લાખો લીટર શુદ્ધ પાણી ગટરમાં

પાટણ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે. શહેરના સિદ્ધિ સરોવર ફિલ્ટર પ્લાન્ટની મુખ્ય ઓવરહેડ ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં છે. આ ટાંકીમાં પાણી ભરવામાં આવતા હજારો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ 10 લાખ લીટરની ક્ષમતા ધરાવતી ટાંકીમાં ભયજનક લીકેજ છે. ટાંકીની ચારે તરફથી પાણીની ધારાઓ વહી રહી છે, જેના કારણે લાખો લીટર શુદ્ધ પાણી ગટરમાં જઈ રહ્યું છે. ટાંકીમાં પડેલા મોટા ગાબડાં અને લીકેજને કારણે તે ગમે ત્યારે ધરાશાયી થાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. આશ્ચર્યજનક રીતે, આ ફિલ્ટર હાઉસની બાજુમાં જ થોડા મહિના પહેલા એક નવી ટાંકી બનાવવામાં આવી છે. જોકે, તંત્રના આયોજનના અભાવે આ નવી ટાંકીમાં પૂરતું પ્રેશર ન મળતા તે હાલ બંધ હાલતમાં પડી છે. નવી ટાંકીનો ઉપયોગ ન થતા અને જૂની ટાંકી લીકેજ હોવાને કારણે કરદાતા નાગરિકોના પૈસા અને કિંમતી પાણી બંનેનો બગાડ થઈ રહ્યો છે. આ અંગે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે નવી ટાંકી બની ગઈ હોય તો તેનો ઉપયોગ કેમ નથી કરાતો અને જો જૂની ટાંકી જોખમી છે તો તેની મરામત કેમ કરવામાં આવતી નથી. આ બાબતે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, નવી ઓવરહેડ ટાંકીમાં પૂરતું પ્રેશર ન મળતા અને હાલ શહેરીજનોને એક જ ટાઈમ પાણી મળતું હોવાથી પૂરતા પ્રેશરથી પાણી મળી રહે તે માટે જૂની ટાંકીમાં પાણી ભરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લીકેજ પાણીની પાઇપનું પણ રિપેરિંગ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 4:12 pm

લખતર પ્રોહિબિશન કેસનો ફરાર આરોપી ઝડપાયો:સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે રતનપર બાયપાસથી પકડ્યો

સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે લખતર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં નાસતા ફરતા આરોપી ભુપતસિંહ વજેસિંહ ઝાલાને ઝડપી પાડ્યો છે. આરોપીને રતનપર બાયપાસ પાસેથી પકડી પાડવામાં આવ્યો હતો. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS) દ્વારા રાજકોટ રેન્જમાં ફરાર આરોપીઓને પકડવા સૂચના આપવામાં આવી હતી. આ અંતર્ગત, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)એ 21 જાન્યુઆરી, 2026થી 31 જાન્યુઆરી, 2026 સુધી ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. આ ડ્રાઇવના ભાગરૂપે, એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર અને પેરોલ ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમા તથા જે.વાય.પઠાણે ટીમના કર્મચારીઓને ફરાર આરોપીઓને શોધવા માટે એક્શન પ્લાન બનાવ્યો હતો. ટીમે સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિંગ કરી હ્યુમન અને ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કર્યો હતો. પેરોલ ફર્લો સ્કવોડની ટીમને પો.કોન્સ. ચંદ્રવિજયસિંહ સુખદેવસિંહ દ્વારા મળેલી સચોટ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી. લખતર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 519/2025, પ્રોહિબિશન કલમ 65 (એ.ઇ.), 116 (બી) મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપી ભુપતસિંહ વજેસિંહ ઝાલા (રહે. સદાદ, તા. લખતર, જિ. સુરેન્દ્રનગર)ને રતનપર બાયપાસ ખાતેથી ઝડપી લેવામાં આવ્યો. આરોપીની કાયદેસરની કાર્યવાહી બાદ તેનો કબજો લખતર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કામગીરીમાં PSI એન.એ. રાયમા, PSI જે.વાય. પઠાણ, અજયવિરસિંહ વિજયસિંહ, અશ્વિનભાઇ ઇશ્વરભાઇ, ચંદ્રવિજયસિંહ સુખદેવસિંહ અને મેહુલભાઇ બુધાભાઇ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 4:08 pm

ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અને વાયરમેન પરીક્ષાનું પરિણામ જાહેર:1 ફેબ્રુઆરીથી રિઝલ્ટ ડાઉનલોડ કરી શકાશે, ઉમેદવારોને પોર્ટલ ચેક કરવા અને સૂચનાઓનું પાલન કરવા અપીલ

રાજ્યભરમાં વિવિધ કેન્દ્રો પર યોજાયેલી ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર તથા વાયરમેનની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. લાયસન્સિંગ બોર્ડ, ઉદ્યોગભવન, ગાંધીનગર દ્વારા તા. 29 ઓક્ટોબર 2025 થી 1 નવેમ્બર 2025 દરમિયાન લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ અધિકૃત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યું છે. પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારો પોતાનું પરિણામ https://ceiced.gujarat.gov.in વેબસાઇટ પર CEICED પોર્ટલમાં લોગિન કરી ‘Application Status’ વિભાગમાં જોઈ શકશે. તેમજ ઉમેદવારો તા. 1 ફેબ્રુઆરી 2026થી પોતાનું પરિણામ ડાઉનલોડ પણ કરી શકશે. લાયસન્સિંગ બોર્ડ દ્વારા ઉમેદવારોને નિયમિત રીતે પોર્ટલ ચેક કરવા અને અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 4:05 pm

કુખ્યાત આરોપીની ગેંગ પર ગુજસીટોક એક્ટ હેઠળ કડક કાર્યવાહી:અજમલ રબારીની ધરપકડ, ગેંગના બાકીના 5 આરોપીઓ વોન્ટેડ

ગાંધીનગર, અમદાવાદ,પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં સંગઠિત ગુનાખોરી આચરીને આતંક મચાવતા ગાંધીનગર કુખ્યાત ભરત સુખાભાઇ રબારી સહિત છ શખ્સો ગેંગ વિરુદ્ધ લોકલ ક્રાઈમ બ્રાંચે કડક રીતે કાયદાનો સકંજો કસ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગના કુલ 6 સભ્યો વિરુદ્ધ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અજમલ રબારીની ધરપકડ કરી લીધી છે. ક્રાઈમને અંજામ આપવા આરોપીએ ગેંગ બનાવી હતીઆ અંગે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી ગાંધીનગર શહેરમાં રહેતા ભરત સુખાભાઇ રબારીએ (હાલ રહે. પ્લોટ નંબર 258/1, સેક્ટર 4એ, મુળ રહે. શીપર ગામ, તા.શંખેશ્વર જી.પાટણ) ઓર્ગેનાઈઝડ ક્રાઈમને અંજામ આપવા તેના સાગરીતો હરીભાઇ સુખાભાઇ રબારી ( મકવાણા)(હાલ રહે. મ.નં – એ/404, શિક્ષાપત્રી સ્કાયકોર્ટ, સરગાસણ), અજમલ સુખાભાઇ રબારી (હાલ રહે. 258/1, સેક્ટર - 4 એ) ,બળદેવભાઇ વિરમભાઇ રબારી (આલ) (હાલ રહે. મ.નં.- 502, શ્રીરંગ નેનોસીટી, સરગાસણ, ગમુળ રહે. ભલગામ, તા.પાટડી),ભોજાભાઇ ભુરાભાઇ ભરવાડ (હાલ રહે. મ.નં.- બી/503, શ્રીરંગ નેનોસીટી, સરગાસણ, મુળ રહે. જાડીયાણા ગામ, તા.પાટડી) અને રવિ સેવંતીભાઇ નાયી (રહે. ગોકુલપુરાના છાપરામાં, સેક્ટર - 14) ની ગેંગ બનાવી હતી. 50 લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતીઆ ગેંગે ગંભીર પ્રકારના મિલકત તથા શરીર સંબંધિત ગુનાઓ આચરી ગાંધીનગર, અમદાવાદ , પાટણ તથા સુરેન્દ્રનગર જીલ્લામાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. માથાભારે ભરત રબારી સહિતની ગેંગ અંગે ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ ડી.બી.વાળા તથા જે.જે.ગઢવીએ તપાસ કરતાં તાજેતરમાં ગેંગ લીડર ભરત રબારીએ તેના સાગરીતો સાથે મળી પાટણના રાધનપુર ખાતે ફાયર આર્મ્સ હથિયાર સાથે બે જણ પર જીવલેણ હુમલો કરી રૂપિયા 50 લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ગેંગ વર્ષ 2016થી સક્રિય હતીજેથી, ગેંગનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતાં આરોપીઓ દ્રારા ભૂતકાળમાં હત્યાનો પ્રયાસ, બળજબરીથી લૂંટ ચલાવવી, આર્મ્સ એકટ, ગેરકાયદેસર મંડળી રચી હથિયાર સાથે હુલ્લડ કરવા, બનાવટી દસ્તાવેજો ઉભા કરી કિંમતી જમીન પચાવી પાડવી, ધાકધમકી આપવા સહિતના અસંખ્ય ગુનાઓ નોંધાયેલ હતા. આ તમામ આરોપીઓ એકબીજા સાથે ઉપરોકત ગુનાઓમાં ભૂતકાળમાં પકડાયા હતા .આ ગેંગ વર્ષ 2016થી સક્રિય હતી અને અત્યાર સુધીમાં તેમની વિરુદ્ધ ગાંધીનગર, અમદાવાદ, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં કુલ 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગના સભ્યો જમીન પચાવી પાડવી, હથિયારો વડે હુમલો કરવો અને વેપારીઓ પાસેથી લાખોની ખંડણી ઉઘરાવવા જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. જો કોઈ નાગરિક આ ગેંગનો ભોગ બન્યો છે તો પોલીસનો સંપર્ક કરેવધુમાં એસ.પી.એ ઉમેર્યું કે,ગેંગનો મુખ્ય સૂત્રધાર ભરત રબારી તેમજ તેના સાથીદારો હરીભાઇ રબારી, બળદેવભાઇ રબારી હાલ પાટણ સબ જેલ ખાતે કસ્ટડીમાં છે. જેઓને ટ્રાન્સફર વોરંટથી લઈ આવવામાં આવશે. હાલમાં પોલીસે અન્ય એક આરોપી અજમલ રબારીની ધરપકડ કરી છે.જ્યારે ભોજાભાઇ ભરવાડ અને રવિભાઇ નાયી હજુ પણ પોલીસ પકડથી દૂર એટલે કે વોન્ટેડ છે. જનતાને અપીલ છે કે, જો કોઈ નાગરિક આ ગેંગનો ભોગ બન્યો હોય તો તેઓ કોઈપણ ડર વગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અથવા નાયબ પોલીસ અધીક્ષકનો સંપર્ક કરે. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. વધુમાં આ ગેંગને આર્થિક મદદ કરનાર કે આશરો આપનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની એસપીએ ચેતવણી આપી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 3:59 pm

ગાંધી નિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ:મોડાસાના બાકરોલ મીની રાજઘાટ ખાતે પૂર્વ સાંસદ સહિત મહાનુભાવો ઉપસ્થિત

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બાકરોલ ગામે આવેલા મીની રાજઘાટ ખાતે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ સાંસદ, જિલ્લા ડીપીઓ અને સામાજિક કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બાકરોલના હાથીઓ ડુંગરા નજીક નદી કિનારે મહાત્મા ગાંધીના અસ્થિનું વિસર્જન દિલ્હી બાદ આ સ્થળે મહાદેવ દેસાઈ અને બાકરોલ ગામના વડીલો દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્થળે ગાંધીજીની ડેરી હતી, જ્યાં અગાઉ લોકમેળો યોજાતો હતો. થોડા વર્ષો પહેલા પૂર્વ સાંસદ મહેન્દ્રસિંહજીના સહયોગથી દિલ્હીના રાજઘાટની જેમ અહીં મીની રાજઘાટનું નિર્માણ કરાયું હતું. ગાંધી નિર્વાણ દિન નિમિત્તે આ કાર્યક્રમમાં જૂના ગાંધીયનો, ગામના નાગરિકો અને શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ ગાંધીજીના પ્રિય ભજન ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ની પ્રાર્થના સાથે થયો હતો. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ ગાંધીજીના જીવન અને તેમની વિચારધારા પર વક્તવ્યો આપ્યા હતા. ઉપસ્થિત ગાંધીયનોએ આઝાદીના સંઘર્ષમાં ગાંધીજીના ત્યાગ અને કાર્યોને યાદ કર્યા હતા. આ પ્રસંગે પૂર્વ સાંસદ મહેન્દ્રસિંહજીએ જણાવ્યું હતું કે, ‘આજે મંચ પરથી ગાંધીજીની વાત કરનારા ઘણા છે, પરંતુ તેમના વિચારોને જીવનમાં અમલમાં મૂકનારા બહુ ઓછા છે.’ જિલ્લા ડીપીઓ નૈનિશ દવેએ કહ્યું કે અરવલ્લી જિલ્લાની શાળાઓમાં સ્વચ્છતા, પ્રમાણિકતા અને નૈતિક મૂલ્યો જેવા ગાંધીજીના વિચારો બાળકો સુધી પહોંચાડવામાં આવે છે. સામાજિક કાર્યકર નિલેશ જોષીએ જણાવ્યું હતું કે, 'મહાત્મા ગાંધીની હત્યા કરનાર ગોડસેએ પણ હત્યા પહેલા ગાંધીજીને વંદન કર્યું હતું. ગાંધીજીએ આપેલા અહિંસાના શસ્ત્રની આજે સમગ્ર વિશ્વને સૌથી વધુ જરૂર છે.' કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થા બાકરોલના સરપંચ પંકજસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન સામાજિક કાર્યકર અમિત કવિએ કર્યું હતું. અંતે બે મિનિટનું મૌન પાળીને અને પુષ્પાંજલિ અર્પણ કરીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 3:47 pm

પોરબંદર: રિક્ષામાં ભૂલાયેલી બેગ પરત મળી:નેત્રમ ટીમની મદદથી વૃદ્ધાને કિંમતી સામાન ગણતરીના કલાકોમાં પાછો મળ્યો

પોરબંદર શહેરમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે કાર્યરત 'વિશ્વાસ પ્રોજેક્ટ' હેઠળનું નેત્રમ (CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ફરી એકવાર નાગરિકોની મદદે આવ્યું છે. નેત્રમ ટીમે રિક્ષામાં ભૂલાયેલી બંગડીઓ અને કટલેરી ભરેલી બેગ સીસીટીવી ફૂટેજના આધારે શોધી કાઢી વૃદ્ધાને પરત અપાવી છે. આ ઘટના સવારે 08:15 કલાકે બની હતી. પોરબંદરના શીતલા ચોક વિસ્તારમાં રહેતા 60વર્ષીય નિમુબેન નરશીભાઇ શીયાળ વાધેશ્વરી પ્લોટથી રિક્ષામાં બેસીને શીતલા ચોક ઉતર્યા હતા. ઉતરાણની ઉતાવળમાં તેઓ પોતાની રૂ. 3000/- ની કિંમતની નવી ખરીદેલી બંગડીઓ અને કટલેરીનો સામાન ધરાવતી બેગ રિક્ષામાં જ ભૂલી ગયા હતા. અરજદારે આ અંગે 'નેત્રમ' સેન્ટરનો સંપર્ક કરતા, ત્યાંની ટેકનિકલ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. અરજદાર જે રૂટ પરથી પસાર થયા હતા તે સુદામા ચોક, ડ્રીમલેન્ડ સિનેમા અને માણેકચોકના સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા હતા. ફૂટેજ ચેક કરતા પ્યાગો રિક્ષા (નંબર: GJ-07-YW-9587) મળી આવી હતી. પોલીસે રિક્ષાના નંબર પરથી ચાલક અલ્પેશભાઇ દિનેશભાઇ રૂધાણીનો સંપર્ક કર્યો હતો. રિક્ષાચાલકે પણ પ્રામાણિકતા દાખવી બેગ પોતાની પાસે હોવાનું સ્વીકાર્યું હતું. ત્યારબાદ રિક્ષાચાલકને નેત્રમ સેન્ટર ખાતે બોલાવી, અરજદારની હાજરીમાં સામાનની ખરાઈ કરી બેગ પરત સોંપવામાં આવી હતી. પોતાનો ખોવાયેલો કિંમતી સામાન પરત મળતા અરજદાર નિમુબેને પોરબંદર પોલીસ, નેત્રમ ટીમ અને પ્રામાણિક રિક્ષાચાલકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 3:47 pm

સાબરકાંઠામાં મહિલા ઉદ્યમીઓ માટે તાલીમ શરૂ:જિલ્લા પંચાયત ખાતે બે દિવસીય 'બિઝનેસ વેલનેસ' કાર્યક્રમ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મહિલા ઉદ્યમીઓને સશક્ત કરવા માટે બે દિવસીય 'બિઝનેસ વેલનેસ તાલીમ'નો પ્રારંભ થયો છે. જિલ્લા પંચાયત ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) ના નિયામક કે. પી. પાટીદારના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ તાલીમ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) યોજના હેઠળ ઉત્પાદન સાથે જોડાયેલા સ્વસહાય જૂથો (SHG) ની મહિલાઓને વ્યાવસાયિક દ્રષ્ટિએ સજ્જ કરવા માટે આયોજિત કરાઈ છે. તેનો મુખ્ય હેતુ મહિલાઓના ઉદ્યમને માત્ર 'કામ' પૂરતું સીમિત ન રાખતા, તેને એક સફળ બિઝનેસ મોડલમાં પરિવર્તિત કરવાનો છે. આ કાર્યક્રમ ડૉ. કે.આર.શ્રોફ ફાઉન્ડેશન, કારીગર ક્લિનિક સંસ્થા (અમદાવાદ) અને NRLM ના સંયુક્ત ઉપક્રમે યોજાયો છે. યોગ્ય માર્ગદર્શન અને ટેકનિકલ સમજ દ્વારા ગ્રામીણ મહિલાઓને સાચા અર્થમાં ઉદ્યમી બનાવવાની દિશામાં આ એક મહત્વનું પગલું છે. તાલીમના પ્રથમ દિવસે નિયામક કે.પી.પાટીદારે મહિલાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનના મહિલા સશક્તિકરણના સ્વપ્નને સાકાર કરવા માટે આ પ્રકારની તાલીમ અનિવાર્ય છે. સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી ઉત્પાદન પ્રવૃત્તિ સાથે જોડાયેલા સ્વસહાય જૂથના 30 જેટલા સભ્યો આ તાલીમમાં જોડાયા છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 3:46 pm

સાબરકાંઠામાં શહીદ દિનની ઉજવણી:વીર શહીદોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઈ

સાબરકાંઠા જિલ્લામાં 30 જાન્યુઆરીના રોજ શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આઝાદી અને માતૃભૂમિના રક્ષણ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર શહીદોની યાદમાં હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. જિલ્લા કલેક્ટર કચેરીના હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ અને નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વહીવટી તંત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ શહીદોના સન્માનમાં બે મિનિટનું મૌન પાળ્યું હતું. સમગ્ર દેશમાં શહીદ દિન મહાત્મા ગાંધીજીના બલિદાનને યાદ કરવા ઉપરાંત ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ સહિત અસંખ્ય દેશભક્તોના ત્યાગને સ્મરીને રાષ્ટ્રની એકતાનો સંદેશ આપે છે. આ અવસરે યુવાનોને શહીદોના આદર્શો જેવા કે સત્ય, અહિંસા અને દેશસેવાની ભાવના સાથે આગળ વધવા અપીલ કરવામાં આવી હતી. વહીવટી તંત્રના સભ્યોએ શહીદોના સપનાનું ભારત બનાવવાનો દ્રઢ સંકલ્પ પણ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 3:45 pm

ફીના ઉઘરાણા અને સેફ્ટી મુદ્દે 4 ખાનગી સ્કૂલ દંડ:મહેસાણા શિક્ષણ વિભાગની ઉત્કર્ષ વિદ્યાલય, કડીની વિદ્યામંદિર અને ખણુસાની સેન્ટ જોસેફ હાઈસ્કૂલમાં તપાસ

મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષણના નિયમોનું ઉલ્લંઘન કરતી ખાનગી સ્કૂલો સામે લાલ આંખ કરવામાં આવી છે. જિલ્લામાં ગ્રાન્ટેડ સ્કૂલો બાદ હવે ખાનગી સ્કૂલોમાં હાથ ધરવામાં આવેલા સઘન ઈન્સ્પેક્શન દરમિયાન ગંભીર બેદરકારી સામે આવતા શિક્ષણ વિભાગે ચાર મોટી ખાનગી સ્કૂલોને દંડ ફટકારી કડક કાર્યવાહી કરી છે. કડીની વિદ્યામંદિર હાઈસ્કૂલમાં મનસ્વી રીતે ફી ઉઘરાવાતી હતીશિક્ષણ વિભાગની તપાસમાં ઉત્કર્ષ વિદ્યાલયમાં શારીરિક શિક્ષણનો અભાવ અને લાયકાત વગરના શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવતું હોવાનું ખુલ્યું હતું, જેના બદલ સ્કૂલને દંડ ફટકારાયો છે. આ ઉપરાંત કડીની વિદ્યામંદિર હાઈસ્કૂલ દ્વારા ફી રેગ્યુલેટરી કમિટી FRCમાં જરૂરી દરખાસ્ત કર્યા વગર જ મનસ્વી રીતે ફી ઉઘરાવવામાં આવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. નિયમો નેવે મૂકીને ચાલતી આ સ્કૂલો સામે પણ તંત્રએ દંડનીય પગલાં ભર્યા છે. ખણુસાની સેન્ટ જોસેફ હાઈસ્કૂલ ફરી વિવાદમાંવિદ્યાર્થીઓની સુરક્ષાના મુદ્દે ખણુસાની સેન્ટ જોસેફ હાઈસ્કૂલ ફરી વિવાદમાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ જ સ્કૂલમાં વીજ કરંટ લાગવાથી એક માસૂમ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. તેમ છતાં શિક્ષણ વિભાગની વર્તમાન તપાસમાં હજુ પણ સ્કૂલમાં સેફ્ટીના નિયમોનું ચુસ્ત પાલન થતું ન હોવાનું જણાતા DEO કચેરીએ આકરી કાર્યવાહી કરી છે. આ ઉપરાંત અન્ય એક સ્કૂલમાં ટ્રાન્સપોર્ટેશનના નિયમોના ભંગ બદલ પણ કાર્યવાહી કરવામાં આવી છે. સ્કૂલોમાં ફાયર સેફ્ટી, ટ્રાન્સપોર્ટેશન અને અન્ય સરકારી માપદંડો અંગે તપાસજિલ્લા શિક્ષણાધિકારી બી. એન. પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં કોઈ પણ ખાનગી સ્કૂલ વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે બાંધછોડ કરશે કે લાયકાત વગરના સ્ટાફ અને ફીના ખોટા ઉઘરાણા કરશે તો તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. હાલમાં જિલ્લાની તમામ ખાનગી સ્કૂલોમાં ફાયર સેફ્ટી, ટ્રાન્સપોર્ટેશન અને અન્ય સરકારી માપદંડો અંગે તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 3:44 pm

ડિંડોલીમાં ચાલતા ગેરકાયદે પાણીના વેપાર પર મનપાની તવાઈ:ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી 8 બોરવેલ સીલ કર્યો; પાણી ચોરી GIDCમાં વેચવાનું કૌભાંડ

સુરત શહેરના લિંબાયત ઝોન હેઠળ આવતા ડિંડોલી વિસ્તારમાં ભૂગર્ભ જળનું ગેરકાયદેસર રીતે બોર કરીને તેને વેચવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. ડિંડોલી માનસી રેસીડેન્સીની સામેના ભાગમાં કેટલાક તત્વો દ્વારા મનપાની પરવાનગી વગર મોટા પ્રમાણમાં બોરવેલ બનાવી પાણી કાઢવામાં આવતું હતું. આ ફરિયાદ મળતાની સાથે જ લિંબાયત ઝોનની ટીમ જેસીબી અને બુલડોઝર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને ગેરકાયદે બાંધકામો તેમજ બોરવેલ તોડી પાડવાની કામગીરી શરૂ કરી હતી. પાંડેસરા GIDCની મિલોમાં સપ્લાય થતું હતું પાણીપ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, જમીનમાંથી કાઢવામાં આવેલું આ પાણી ટેન્કરો મારફતે પાંડેસરા GIDC વિસ્તારની વિવિધ મિલો અને એકમોમાં મોકલવામાં આવતું હતું. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, આ ગેરકાયદેસર વેપાર છેલ્લા બેથી ત્રણ મહિનાથી ધમધમી રહ્યો હતો. રહેણાંક વિસ્તારમાં આ રીતે પાણીનો વેપાર થવાથી ભવિષ્યમાં જળસ્તર નીચે જવાની ભીતિ સેવાઈ રહી હતી, જેને પગલે લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. જુનિયર એન્જિનિયર પીયૂષ રાઠોડનું નિવેદનઆ કામગીરી અંગે માહિતી આપતા લિંબાયત ઝોન પાણી વિભાગના જુનિયર એન્જિનિયર પીયૂષ રાઠોડે જણાવ્યું હતું કે, અમને ફરિયાદ મળી હતી કે અહીં બોરવેલ બનાવી પાણીનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે. તપાસ કરતા ફરિયાદ સાચી જણાઈ હતી. અમે અત્યાર સુધીમાં કુલ 8 કાર્યરત બોરવેલ શોધીને તેને બંધ કરી દીધા છે. હજુ પણ અન્ય બોરવેલની ઓળખ કરવામાં આવી રહી છે અને તમામ ગેરકાયદે કનેક્શન કાપી નાખવાની પ્રક્રિયા ચાલુ છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 3:30 pm

સુરતમાં મતદાર યાદી સુધારણા મિશન મોડમાં:જિલ્લાની 16વિધાનસભામાં SIR કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ

સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકો માટે ચાલી રહેલી સ્પેશ્યલ ઇન્ક્વાયરી રોલ (SIR) કામગીરીની સમીક્ષા કરવા માટે ખાસ બેઠક યોજાઈ હતી. ભારતીય ચૂંટણી પંચના સ્પેશ્યલ રોલ ઓબ્ઝર્વર એ.કે. મિશ્રાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે આ બેઠક સંપન્ન થઈ હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મતદાર યાદી સુધારણા એ માત્ર વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ ‘નેશન બિલ્ડીંગ’ એટલે કે રાષ્ટ્ર નિર્માણનું પવિત્ર કાર્ય છે. 25 વર્ષ બાદ વ્યાપક સુધારણા બેઠકમાં એ.કે. મિશ્રાએ મહત્વની વિગત આપતા જણાવ્યું કે, લગભગ 25 વર્ષના લાંબા સમયગાળા બાદ આટલી વ્યાપક કક્ષાએ મતદાર યાદી સુધારણા હાથ ધરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ડુપ્લીકેટ નામો દૂર કરવા અને ASD (ગેરહાજર, સ્થળાંતરિત અને મૃત) મતદારોનું સચોટ મેપિંગ કરવાનો છે. આ પ્રક્રિયાના અંતે અત્યંત પારદર્શક અને અદ્યતન મતદાર યાદી તૈયાર થશે, જે લોકશાહીના પાયાને વધુ મજબૂત બનાવશે. અધિકારીઓને 'મિશન મોડ'માં કામ કરવા આદેશ ચૂંટણી પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવા માટે બાકી રહેલી હિયરીંગ, નોટિસ બજવણી અને નવી મતદાર નોંધણીની કામગીરી ચોકસાઈપૂર્વક પૂર્ણ કરવા માર્ગદર્શન અપાયું હતું. તમામ અધિકારીઓને આ કામગીરી ‘મિશન મોડ’માં હાથ ધરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા કડક સૂચના આપવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રની સજ્જતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. સૌરભ પારધીએ સુરત જિલ્લામાં ડ્રાફ્ટ રોલ અંગે થયેલી પ્રગતિથી ઓબ્ઝર્વરને વાકેફ કર્યા હતા. તેમણે ખાતરી આપી હતી કે વહીવટી તંત્ર દ્વારા દરેક લાયક નાગરિકનો સમાવેશ થાય તેવી ક્ષતિરહિત યાદી બનાવવાનું કાર્ય સુનિયોજિત રીતે ચાલી રહ્યું છે. આ બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અશોક ચૌધરી, પાલિકા ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચ સહિત તમામ 16 વિધાનસભાના રિટર્નિંગ ઓફિસરો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 3:22 pm

માછીમાર સેલ કન્વીનર મહેન્દ્ર જુંગી મુખ્યમંત્રીને મળ્યા:2026ના બજેટમાં માછીમારોના સૂચનો સમાવવા રજૂઆત કરી

માછીમાર સેલ ગુજરાત પ્રદેશના કન્વીનર મહેન્દ્રભાઈ જુંગીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મુલાકાત 2026ના રાજ્ય બજેટમાં માછીમારોના સૂચનોનો વધુમાં વધુ સમાવેશ કરવા અંગે રજૂઆત કરવા માટે કરવામાં આવી હતી. મહેન્દ્રભાઈ જુંગીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી સાથે પારિવારિક વાતાવરણમાં બેસીને 2026ના બજેટમાં માછીમારોના સૂચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે અગાઉથી જ સમગ્ર ગુજરાતના માછીમાર આગેવાનો પાસેથી મળેલા સૂચનોનું સંકલન કરીને મુખ્યમંત્રીને મોકલ્યા હતા. મુખ્યમંત્રીએ આ સૂચનો વાંચ્યા હતા અને વધુમાં વધુ સૂચનોનો અમલ થાય તેવું આશ્વાસન આપ્યું હતું. તેમણે માછીમારોના હિત માટે ખાસ સમય ફાળવ્યો હતો અને અનેક સૂચનો પર ચિંતન કર્યું હતું. મુખ્યમંત્રીએ માછીમારોના જીવનધોરણ અને આજીવિકા માટે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માછીમાર સુધી પહોંચે તે માટે તેઓ અગ્રેસર રહેશે.આ ઉપરાંત, તેમણે માછીમારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને વ્યસનથી દૂર રહે તેવી પણ ચિંતા વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 3:21 pm

પતિના ફોનમાં અન્ય યુવતીના ફોટા જોતા ઝઘડો થયો:પત્નીને માર મારી પુત્રી સાથે નદીમાં ફેંકી દેવાની પતિએ ધમકી આપી

નવસારી શહેરના દરગાહ રોડ વિસ્તારમાં રહેતી એક 20 વર્ષીય પરણીતાએ તેના પતિ વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગંભીર ફરિયાદ નોંધાવી છે. પતિના મોબાઈલમાં અન્ય યુવતીના ફોટા જોઈ જતા થયેલા ઝઘડામાં પતિએ પત્નીને ઢીકમુક્કીનો માર મારી, પુત્રી સાથે નદીમાં ફેંકી દેવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના નવસારીના દરગાહ રોડ પર આવેલા શુકુન એપાર્ટમેન્ટમાં રહેતી અનીશા (નામ બદલેલ છે) સાથે બની હતી. અનીશાના લગ્ન શાબાન કમરૂદ્દીન શાહ સાથે થયા હતા, જે અલીફનગર વિસ્તારમાં દુકાન ચલાવે છે. ગઈકાલે, 29 જાન્યુઆરીના રોજ બપોરના સમયે અનીશા તેના પતિની દુકાને ગઈ હતી. ત્યાં તેણે પતિના મોબાઈલ ફોનમાં અન્ય એક યુવતી સાથેના ફોટા જોઈ લીધા, જેના કારણે પતિ-પત્ની વચ્ચે વિવાદ શરૂ થયો હતો. ફરિયાદ મુજબ, ફોટા બાબતે પૂછપરછ કરતા શાબાન ઉશ્કેરાઈ ગયો હતો. તેણે પત્નીને અપશબ્દો બોલી અને ઢીકામુક્કીનો માર માર્યો હતો. શાબાને પત્નીને ધમકી આપી હતી કે, મેં તને મારેલ છે તે વાત કોઈને કહેતી નહીં, જો કોઈને કહીશ તો પુત્રીને ફેંકી દઈશ. આટલેથી ન અટકતા, શાબાન તેની પત્ની અને પુત્રીને વિરાવળ નદીના પુલ પાસે લઈ ગયો હતો. પુલ પાસે પહોંચી તેણે પત્ની અને પુત્રીને નદીમાં નાખી દેવાની અને પોતે પણ નદીમાં પડી જશે તેવી ધમકીઓ આપી હતી. પતિના સતત ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીથી ભયભીત થયેલી પત્નીએ અંતે મોડી રાત્રે 11:30 કલાકે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વી.પી. ચૌધરીએ આરોપી શાબાન કમરૂદ્દીન શાહ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 115(2), 351(3) અને 352 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 3:16 pm

નળ સરોવરને લઈને હાઈકોર્ટનું સૂચન:ઈકો સેન્સિટીવ ઝોનમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકો, બોટિંગ પ્રવૃતિનું નિયમન કરો, ચેક પોઇન્ટ ગોઠવો, આ પર્યટન સ્થળ નથી

સુપ્રીમ કોર્ટના નિર્દેશોને આધારે ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી લેવામાં આવી છે. આ અરજી રામસર સાઈટ અને વેટલેન્ડની જાળવણીને લગતી છે. કોર્ટ મિત્રે જણાવ્યું હતું કે, વર્ષ 2018માં હાઇકોર્ટમાં આ મુદ્દે સુઓ મોટો અરજી લેવામાં આવી હતી. તે નળ સરોવર રામસર સાઈડને લગતી હતી. સુપ્રીમ કોર્ટે દેશના વિભિન્ન સ્થળોએ આવેલ રામસર સાઈટની જાળવણીને લઈને એક વિસ્તૃત હુકમ આપ્યો છે. જે મુજબ ભારતની દરેક રામસર સાઈટની યોગ્ય જાળવણી થઈ રહી છે કે કેમ ? તે અંગે જે તે વિસ્તારની હાઈકોર્ટ સુઓ મોટો અરજી લેશે. નડા બેટ ભારતનું સૌથી મોટું વેટ લેન્ડ છેસુપ્રીમ કોર્ટના આ વિસ્તૃત હુકમમાં દેશની રામસર સાઇડનું લિસ્ટ આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના નળ સરોવર, વઢવાણ, થોળ અને ખીજડીયા રામસર સાઇડનો સમાવેશ થાય છે. નડા બેટ ભારતનું સૌથી મોટું વેટ લેન્ડ છે, જે ભારત અને પાકિસ્તાન બનેમાં વિસ્તૃત છે. કોર્ટે કહ્યું હતું કે, બોટિંગને લઈને જે નવા નિયમો રાજ્ય સરકારે બનાવ્યા છે, તેમાં નળસરોવરનો અહેવાલ પણ આવ્યો છે, ત્યાં બધું બરોબર છે. ખીજડીયા રામસર સાઇટની ચીફ જજે મુલાકાત લીધી હતી તે પણ બરોબર છે. કોર્ટે લોકલ અધિકારીઓ અને લોકો સાથે વાત કરી અહેવાલ માંગ્યો હતોકોર્ટ મિત્રે અગાઉ નળ સરોવરની મુલાકાત લીધી હતી. કોર્ટે કોર્ટ મિત્રને આ તમામ રામસર સાઈટ અને નડાબેટ વેટલેન્ડ ઉપર જઈને ચેક કરીને રિપોર્ટ આપવા હુકમ કર્યો હતો. વર્ષ 2010માં ઈસરોએ ભારતની રામસર સાઈટનો મેપ તૈયાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને રામસર સાઈટ અંગે સુનવણી હાથ ધરીને અહેવાલ આપવા 3 મહિનાનો સમય આપ્યો છે. કોર્ટ મિત્રએ વેટ લેન્ડને સિંચાઇના પાણીથી ભરાતો હોવાના મીડિયા અહેવાલ અંગે જણાવ્યું હતું. જેથી, વેટ લેન્ડની બાયો ડાઈવર્સિટીને નુકસાન થતું હોવાનું જણાવ્યું હતું. જોકે, કોર્ટે મીડિયા રીપોર્ટ અવગણીને લોકલ અધિકારીઓ અને લોકો સાથે વાત કરી અહેવાલ માંગ્યો હતો. નડાબેટનો રીપોર્ટ રજૂ કરવા માટે સમય માંગવામાં આવ્યો આજે આ બાબતે સરકારી વકીલે પ્રિન્સિપાલ ચીફ કંઝરવેશન ઓફ ફોરેસ્ટની એફિડેવિટ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. જેમાં જણાવાયું છે કે રામસર સાઇટ ઉપર તપાસ કરવામાં આવી છે. ગુજરાત સ્ટેટ વેટલેન્ડ ઓથોરિટીની પર્યાવરણ મંત્રીના અધ્યક્ષ સ્થાને ત્રીજી મિટિંગ યોજાઈ હતી. વર્તમાન રીપોર્ટ નળ સરોવર અને થોળ સાઇટને લઈને આવ્યો છે. જ્યારે નડાબેટનો રીપોર્ટ રજૂ કરવા માટે સમય માંગવામાં આવ્યો છે. અહીં પ્લાસ્ટિક પર ગિરનારની પર્વતની જેમ પ્રતિબંધ મૂકવો જોઈએકોર્ટને જણાવાયું હતું કે, તમામ રામસર સાઇટ અને ઈકો સેન્સિટીવ ઝોનમાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકાયો છે, સાઈન બોર્ડ લગાવ્યા છે, કચરાપેટી મુકાઈ છે, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે વ્યવસ્થા કરાઈ રહી છે. જોકે, કોર્ટે કહ્યું હતું કે આ પૂરતું નથી, આ ઈકો સેન્સિટીવ ઝોન છે, અહીં પ્લાસ્ટિક ઉપર ગિરનારની પર્વતની જેમ પ્રતિબંધ મૂકવો જોઈએ. દરેક પર્યટકો જે નળ સરોવર આવતા હોય તેમના માટે પ્લાસ્ટિક બોટલ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. હોડી ચાલકોને લાયસન્સ-યુનિફોર્મ આપો જેથી તેને ઓળખી શકાયચીફ જજે જાતે નળસરોવમાં જોયું છે કે, ત્યાં પ્લાસ્ટિકની બોટલો, નાસ્તાના પડીકા અને ગુટખાના પડીકા લઈને લોકો આવે છે. આ પર્યટન સ્થળ નથી. તમે ઈકો સેન્સિટીવ ઝોનમાં ખોરાક લઈને જઈ શકો નહીં. નાસ્તો કરવા માટે અલગ વિસ્તાર જાહેર કરો. નાસ્તો, પ્લાસ્ટિક, થર્મોકલ, ડિસ્પોઝેબલ ઉપર અહીં પ્રતિબંધ મૂકો. ગીર ફોરેસ્ટ વિસ્તાર જેવી નીતિ અમલમાં મૂકો. રામસર સાઇટમાં બોટિંગ એ ગીરમાં સફારી કરવા બરાબર છે એટલે નિયમો પણ એવા હોવા જોઈએ. સાઇટની આસપાસ વ્યવસાય કરતા લોકોને કાઢવાના નથી પણ એમને યોગ્ય જગ્યા ફાળવો. બોટિંગ પ્રવૃતિઓને નિયમન કરો, હોડી ચાલકો પાસેથી ચાર્જ લેવાની કોઈ જરૂર નથી, પરંતુ તેમને લાયસન્સ આપો, યોગ્ય યુનિફોર્મ આપો જેથી તેઓને ઓળખી શકાય. તમામ વિભાગોને સાથે રાખી હાઈ લેવલ કમિટી બનાવોકોર્ટ મિત્રએ કહ્યું હતું કે, તે જાતે આ સાઇટ ઉપર ગયા હતા. ત્યાં કેટલીક બાઉન્ડ્રી વોલ તૂટેલી છે. લોકો ગેરકાનૂની ઘૂસીને માછીમારી કરી છે. હાઇકોર્ટે કહ્યું હતું કે, અહીં માછીમારી ઉપર પ્રતિબંધ છે, ચેકીંગ પોઇન્ટ મૂકો. તમે પ્લાસ્ટિક, બોટિંગ વગેરેને લઈને પ્લાન બનાવો પછી ફાઇનલ નિર્દેશ કોર્ટ આપશે. કેવી રીતે તમે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકશો અને બોટિંગની પ્રવૃતિ કેવી રીતે રેગ્યુલેટ કરશો ? તેને એન્ટ્રી ફ્રી ઝોન રાખી શકો નહીં, ચેક પોઇન્ટ ગોઠવો. તમે કેમેરા લગાવવાની વાત કરી છે તે સારો વિચાર છે. ચીફ સેક્રેટરીએ વન વિભાગ, સરદાર સરોવર નિગમ, મત્સ્ય વિભાગ વગેરેને સાથે રાખી હાઈ લેવલ કમિટી બનાવે. જેથી નદીનું પાણી અને કેનાલનું પાણી રામસર સાઇટમાં ન આવે. આ વરસાદના પાણીથી ભરાતું કુદરતી સરોવર છે, જે અમુક સમય પછી સુકાઈ જાય છે. આગામી સમયમાં વધુ સુનવણી યોજાશેગીર ફાઉન્ડેશનનું કામ સાઇટ્સની હેબિટેશનની ક્વોલિટી જાળવવાનું. થોળ પક્ષી અભયારણના રીપોર્ટમાં કેમિકલ કચરો ડિસ્ચાર્જ થતો હોવાનું સામે આવ્યું છે. જેમાં GPCB નો રિપોર્ટ વન વિભાગે મંગાવ્યો છે, કોર્ટે પણ મંગાવ્યો છે. થોળનુ મેનેજમેન્ટ વનવિભાગ અંતર્ગત આવે છે, જે કેન્દ્ર સરકારમાં આવે છે. રાજ્યના વિભાગ તેની સાથે સમન્વય કરતા નથી, આ પાવર ગેમ એટલે ચીફ સેક્રેટરી દ્વારા મોનીટરીંગ કમિટીની રચના કરવી જરૂરી છે. આ મુદ્દે આગામી સમયમાં વધુ સુનવણી યોજાશે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 3:14 pm

શહિદ દિન નિમિત્તે વામન વિધિનું વિરાટ કાર્ય:વિધિ જાદવે ડોડાના 10 શહીદોના પરિવારોને સાંત્વના પત્ર અને આર્થિક સહાય અર્પણ કરી અર્પી અનોખી ભાવાંજલિ

30 જાન્યુઆરી એટલે ભારત માતાના કાજે પ્રાણ ન્યોછાવર કરનાર વીરોને નમન કરવાનો દિવસ. આ અવસરે નડિયાદની વિધિ જાદવે બલિદાનના આદર્શોને માત્ર વાતોમાં નહીં, પણ કાર્યમાં ચરિતાર્થ કર્યા છે. તેમણે દેશના સપૂતો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી માનવતાનું વિરાટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડોડા અકસ્માતના શહીદોને આર્થિક સહયોગ ગઈ 23 જાન્યુઆરી 2026ના રોજ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં એક કરુણ ઘટના ઘટી હતી. ચંબા આંતરરાજ્ય માર્ગ પર 9000 ફૂટની ઊંચાઈએ આતંકવાદી વિરોધી કામગીરી દરમિયાન સેનાનું વાહન ખીણમાં ખાબક્યું હતું. આ દુર્ઘટનામાં દેશના 10 વીર જવાનોએ જીવ ગુમાવ્યો હતો. આ શહીદોના પરિવારોની વ્હારે આવતા વિધિ જાદવે પ્રત્યેક પરિવારને સાંત્વના પત્ર પાઠવ્યો છે. સાથોસાથ, તેમણે તમામ 10 શહીદ પરિવારોને રૂ. 5000ની આર્થિક સહાય અર્પણ કરી દેશભક્તિની મિસાલ કાયમ કરી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 3:12 pm

ગાંધીનગરમાં ભક્તિમય માહોલ:51 શક્તિપીઠ પરિક્રમા માટે 550થી વધુ શ્રદ્ધાળુઓ અંબાજી રવાના, માઈ ભક્તો માટે વધારાની બસોની વ્યવસ્થા

આદ્યશક્તિ માં અંબાના પવિત્ર ધામ અંબાજી ખાતે આયોજિત 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સહભાગી થવા માટે ગાંધીનગર શહેરના શ્રદ્ધાળુઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ વિશેષ સેવામાં આજે વહેલી સવારે શહેરના તમામ વોર્ડમાંથી કુલ 15 બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વહેલી સવારના સમયે સમગ્ર વાતાવરણ જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોમાં એક અનેરો આધ્યાત્મિક આનંદ જોવા મળ્યો હતો. 15 બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયુંઆદ્યશક્તિ માં અંબાના પવિત્ર ધામ અંબાજી ખાતે આયોજિત 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સહભાગી થવા માટે આજે 15 બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પવિત્ર યાત્રા અંગે માહિતી આપતા જિલ્લા કલેકટર મેહુલ દવેએ જણાવ્યું હતું કે, 51 શક્તિપીઠ પરિક્રમા એ આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ ઊંચું મહત્વ ધરાવે છે. આગામી દિવસોમાં વધુ બસની વ્યવસ્થા કરાશેગાંધીનગરના નાગરિકો કોઈપણ મુશ્કેલી વગર સુખરૂપ આ પરિક્રમા કરી શકે અને મા અંબાના આશીર્વાદ મેળવી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને કોર્પોરેશન હંમેશા તત્પર છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આગામી બે દિવસોમાં ગાંધીનગર જિલ્લાના અન્ય વિવિધ તાલુકાઓમાંથી પણ શ્રદ્ધાળુઓ માટે વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી વધુમાં વધુ લોકો આ મહોત્સવનો ભાગ બની શકે. સેક્ટર 4થી સૌથી વધુ 57 ભક્તો અંબાજી રવાનાઆજના દિવસે પ્રસ્થાન કરેલી 15 બસોમાં શહેરના વિવિધ સેક્ટરો અને ગામોમાંથી 550થી વધુ ભક્તો જોડાયા છે. જેમાં સેક્ટર 4ના અંબાજી મંદિર ખાતેથી સૌથી વધુ 57 ભક્તો, જ્યારે રાંધેજા અને સેક્ટર 30માંથી 52-52 ભક્તો રવાના થયા છે. આ ઉપરાંત સેક્ટર 3માંથી 48, ખોરજ અને કોબા રામજી મંદિર ખાતેથી 46-46, તેમજ વાવોલ-કોલવડા વિસ્તારના 43 ભક્તો આ યાત્રામાં જોડાયા છે. સેક્ટર 5 બી મહાકાળી મંદિર, ફતેપુરા, સેક્ટર 3 બી, સેક્ટર 14 અને સેક્ટર 6 જેવા વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. કુડાસણ અને ઝુંડાલ જેવા વિસ્તારોના ભક્તોને પણ આ સર્વસમાવેશક આયોજનમાં આવરી લેવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 3:06 pm

બોટાદમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ:મહાત્મા ગાંધી સહિત દેશના બલિદાનીઓને યાદ કરાયા, સરકારી કચેરીઓમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું

બોટાદ જિલ્લામાં શહીદ દિવસ નિમિત્તે દેશ માટે બલિદાન આપનાર મહાન શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. 30 જાન્યુઆરીના રોજ બોટાદ નગરપાલિકા સહિત જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ અવસરે મહાત્મા ગાંધીજી તથા દેશની સ્વતંત્રતા માટે પ્રાણોની આહુતિ આપનાર તમામ શહીદ વીરોને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ. બોટાદ નગરપાલિકા તેમજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળી શહીદોના બલિદાનને યાદ કર્યું. શહીદ દિવસના આ અવસરે દેશની એકતા, અખંડિતતા અને સ્વતંત્રતા માટે બલિદાન આપનાર મહાન શહીદોના આદર્શોને યાદ કરવામાં આવ્યા. તેમના માર્ગ પર ચાલવાની પ્રતિજ્ઞા પણ વ્યક્ત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 3:04 pm

ગોધરાની દેવલ ગુજરાતી રેડિંગ ગુજરાત સમાજના ચેરમેન:બ્રિટનમાં સોની સમાજની દીકરીની પ્રતિષ્ઠિત પદ પર વરણી

ગોધરાના જાણીતા સાયકલવાળા સ્વ. શાંતિલાલ સોનીના દોહિત્રી દેવલ હેમંત ગુજરાતીની યુકેના રેડિંગ શહેરમાં ગુજરાત સમાજના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. તેઓ વર્ષ 2026 માટે આ પદ સંભાળશે. આ વરણીથી ગોધરા શહેરના સોની સમાજમાં આનંદની લાગણી છે. દેવલબેનના નેતૃત્વ હેઠળ, પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે 24 જાન્યુઆરી 2026ના રોજ ‘ગુજરાત સમાજ રેડિંગ ગોટ ટેલેન્ટ’ શીર્ષક હેઠળ એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દ્વારા વિદેશની ધરતી પર ભારતીય સંસ્કારો અને દેશભક્તિનું વાતાવરણ સર્જાયું હતું. કાર્યક્રમની શરૂઆત 3 થી 14 વર્ષના બાળકો દ્વારા કંઠસ્થ ગણેશ સ્ત્રોત અને હનુમાન ચાલીસાના પઠનથી થઈ હતી. બાળકો અને મહિલાઓએ ‘જય હો’, ‘લહેરાદો’ અને ‘માં તુજે સલામ’ જેવા દેશભક્તિના ગીતો પર નૃત્ય રજૂ કર્યા હતા. દેવલબેન અને શિલ્પાબેને ભરતનાટ્યમ પ્રસ્તુત કર્યું હતું. પિનાકભાઈએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને ક્વિઝનું આયોજન કર્યું હતું. દેવલબેન વ્યવસાયે આર્કિટેક્ટ છે, જ્યારે તેમના પતિ હેમંતભાઈ ગુજરાતી આઈ.બી.એમ.માં ફરજ બજાવે છે. તેઓ છેલ્લા બે વર્ષથી બાળકોમાં સંસ્કાર સિંચન માટે સક્રિય છે. આ પ્રસંગે સંસ્થાના સ્થાપક ઠાકોરભાઈ દેસાઈ અને ઈન્દુબેન દેસાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. 1978માં સંદેશાવ્યવહારના સાધનોના અભાવ વચ્ચે બસ કંડક્ટર તરીકે ફરજ બજાવતા સભ્યોએ ગુજરાતીઓને એકત્ર કરીને આ સંસ્થાની સ્થાપના કરી હતી. આજે આ સંસ્થા 500 પરિવારોનું સંગઠન બની છે.કાર્યક્રમમાં પૂર્વ ચેરમેન સંગીતાબેન અને મીડિયા પ્રભારી નયનબેનનું પણ સન્માન કરાયું હતું. અંતમાં સમૂહ રાષ્ટ્રગીત અને પરંપરાગત ભારતીય અલ્પાહાર સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 2:59 pm

સુરતમાં રિક્ષાચાલકને લૂંટી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર સગા ભાઈઓનું રિ-કન્સ્ટ્રક્શન:ઉઘાડા પગે બે હાથ જોડી માફી માંગી, ગ્રાહકના સ્વાંગમાં માનવતાને લજવી

'ડાયમંડ સિટી' તરીકે ઓળખાતા સુરત શહેરમાં ગુનેગારોનો આતંક ઓછો કરવા અને કાયદાનું ભાન કરાવવા માટે ઉત્રાણ પોલીસ દ્વારા એક મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે. મોટા વરાછા વિસ્તારમાં એક નિર્દોષ રિક્ષાચાલકને લૂંટી તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરનારા બે સગા ભાઈઓને પોલીસે ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. માનવતાને લજવી નાખતું કૃત્યથોડા દિવસો પહેલા મોટા વરાછાના અવાવરુ વિસ્તારમાં ઓટો રિક્ષાચાલકને ગ્રાહકના સ્વાંગમાં અવાવરુ જગ્યાએ લઈ જઈ લૂંટ ચલાવવામાં આવી હતી. આરોપીઓ અર્જુન ભોજવીયા અને વિજય ભોજવીયા નામના બે સગા ભાઈઓએ રિક્ષાચાલક પાસેથી મત્તાની લૂંટ કર્યા બાદ પણ રાક્ષસીવૃત્તિ દાખવી હતી. બંને ભાઈઓએ રિક્ષાચાલક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરીને માનવતાને લજવી હતી. આ અપરાધની ફરિયાદ નોંધાતા જ ઉત્રાણ પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ કેસમાં અર્જુન ભોજવીયા, વિજય ભોજવીયા અને એક સગીર વયના કિશોર સહિત કુલ ત્રણ શખસોની ધરપકડ કરી હતી. જાહેરમાં સરઘસ અને રિકન્સ્ટ્રક્શનલોકોમાં પોલીસનો વિશ્વાસ વધે અને ગુનેગારોમાં ફાળ પડે તે હેતુથી પોલીસે બંને મુખ્ય આરોપી ભાઈઓને સાથે રાખીને મોટા વરાછા વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસે બંને આરોપીઓને ઘટનાસ્થળે ઉઘાડા પગે ચલાવ્યા હતા. ગુનાની ગંભીરતા સમજાતા અને પોલીસના કડક વલણને જોઈને બંને આરોપીઓએ જાહેરમાં બે હાથ જોડીને લોકોની માફી માંગી હતી. પોલીસે આરોપીઓએ કઈ રીતે રિક્ષાચાલકને આંતર્યો અને કઈ રીતે ગુનાને અંજામ આપ્યો તેનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 2:58 pm

ગઢડામાં ભાજપ નેતાના પરિવારના નામ મતદાર યાદીમાંથી કમી કરવા અરજી:પિતા-પુત્રના નામ કમી કરવા ફોર્મ 7 ભરાયું, મુસ્લિમ સમાજમાં રોષની લાગણી, કડક કાર્યવાહીની માગ, મામલદારે કહ્યું- તપાસ વગર કોઈ નામ રદ નહીં થાય

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ મહામંત્રીના પરિવારના સભ્યોના નામ મતદાર યાદીમાંથી રદ કરવા માટે અજાણ્યા શખસો દ્વારા વાંધા અરજી કરવામાં આવતા મુસ્લિમ સમાજ અને રાજકીય વર્તુળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું છે સમગ્ર મામલો?ગઢડાના શ્રીજી સિનેમા પાછળ રહેતા મુસ્લિમ સમાજના અગ્રણી અને ભાજપના પૂર્વ પ્રદેશ લઘુમતી મહામંત્રી ઈરફાનભાઈ ખીમાણીને સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું કે, તેમના પરિવારના સભ્યોના મતાધિકાર છીનવી લેવા માટે વ્યવસ્થિત પ્રયાસ થઈ રહ્યા છે. તપાસ કરતા માલૂમ પડ્યું કે કોઈ અજાણ્યા શખસ દ્વારા તેમના પિતા હાજી અબ્દુલ મજીદભાઈ ખીમાણી અને પુત્ર મોહમદ આદીલના નામ યાદીમાંથી કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરી વાંધા અરજી આપવામાં આવી છે. મામલતદારની સ્પષ્ટતાઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઈરફાનભાઈએ તાત્કાલિક મામલતદાર કચેરીનો સંપર્ક સાધ્યો હતો. આ મામલે મામલતદારે જણાવ્યું હતું કે, આ પ્રકારની અરજી કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે, પરંતુ હાલમાં કોઈ પણ મતદારનું નામ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર નથી. તેમણે આશ્વાસન આપ્યું હતું કે નિયમ મુજબની તપાસ વગર કોઈ નામ રદ થશે નહીં. લોકશાહીના અધિકાર પર તરાપ: ઈરફાન ખીમાણીઈરફાનભાઈએ આ કૃત્યને લોકશાહીના મૂળભૂત અધિકાર સાથેના ચેડા ગણાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, રાજકીય કે સામાજિક કિન્નાખોરી રાખીને જાણીજોઈને તેમના પરિવારના નામ રદ કરાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. તેમણે માગ કરી છે કે આવા ખોટા ફોર્મ ભરનારા શખસોને શોધી કાઢી તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. મુસ્લિમ સમાજ દ્વારા ઉગ્ર વિરોધની ચીમકીઆ ઘટનાને પગલે ગઢડાના મુસ્લિમ સમાજમાં પણ રોષની લાગણી છે. આગામી દિવસોમાં આ મામલે મુસ્લિમ સમાજ દ્વારા તંત્રને આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવાની અને જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરવામાં આવશે. રાજકીય પક્ષના જ પૂર્વ હોદ્દેદારના પરિવાર સાથે આ પ્રકારની ઘટના બનતા સમગ્ર બોટાદ જિલ્લામાં આ ચર્ચાનો વિષય બન્યો છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 2:58 pm

મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો પ્રારંભ:હિંમતનગરમાં જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો, 79 ગ્રામ પંચાયતોના ભવનોનું ઈ-ખાતમુહૂર્ત

રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓને સુદ્રઢ બનાવી છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 'મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના'નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આણંદના ભાદરણ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના પોલાજપુર મુકામે લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ યોજના અંતર્ગત મુખ્યમંત્રીના હસ્તે રાજ્યની કુલ 2,066 ગ્રામ પંચાયતોના નવીન ભવનોનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠા જિલ્લાની 79 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. પોલાજપુર ખાતે આશરે રૂ. 25 લાખના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક ગ્રામ પંચાયત ઘરનું મહાનુભાવો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકારે ગ્રામીણ વિકાસને પ્રાથમિકતા આપી છે. તેમણે ઉમેર્યું કે, નવીન પંચાયત ભવનો બનવાથી ગ્રામજનોને તમામ સરકારી સેવાઓ સુવિધાજનક રીતે મળી રહેશે અને ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ મળશે. પંચાયત ઘરો આધુનિક બનતા ગ્રામીણ સ્તરે વહીવટી પારદર્શિતા વધશે અને પ્રશ્નોનો ઝડપી નિકાલ આવશે. ધારાસભ્ય વી.ડી. ઝાલાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી આજે છેવાડાના ગામડાઓ ડિજિટલ અને ભૌતિક સુવિધાઓથી સજ્જ બની રહ્યા છે. તેમણે 'મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના'ને માત્ર ઇમારતો બનાવવાની યોજના નહીં, પરંતુ ગ્રામીણ જનતાના સશક્તિકરણનું માધ્યમ ગણાવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, તાલુકા વિકાસ અધિકારી, ગામના સરપંચ, અગ્રણી વિજયભાઈ પંડ્યા સહિત વિવિધ પદાધિકારીઓ, અમલીકરણ અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 2:57 pm

વામસી એન્ટરપ્રાઈઝના નામે ચાલતું નકલી ફેસ સીરમનું મેન્યુફેક્ચરિંગ યુનિટ સીલ:ગોડાદરામાં કોસ્મેટિક પ્રોડક્ટ્સનું નેટવર્ક ઝડપાયું; જાણીતી બ્રાન્ડના નામે ઓનલાઇન વેચણ થતું

ઓનલાઇન શોપિંગના જમાનામાં તમે મંગાવેલી વસ્તુ અસલી જ હશે, તેની કોઈ ખાતરી નથી. સુરતના ગોડાદરા વિસ્તારમાં પકડાયેલું લેટેસ્ટ કૌભાંડ ગ્રાહકો માટે લાલબત્તી સમાન છે. જાણીતી બ્રાન્ડના નામે નકલી કોસ્મેટિક પ્રોડક્ટ્સ બનાવી તેને મોટા ઓનલાઇન પ્લેટફોર્મ પર ઓરિજિનલ પેકેજિંગમાં પધરાવી દેવાનું એક મોટું નેટવર્ક ગોડાદરા પોલીસે ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં આશરે 8,21,700ની કિંમતની ડુપ્લીકેટ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે, જે સીધી રીતે ગ્રાહકોની ત્વચા અને સ્વાસ્થ્ય સાથેના ગંભીર ચેડાં હોવાનું સામે આવ્યું છે. ઓનલાઇન ગ્રાહકોને છેતરવાની મોડસ ઓપરેન્ડીઆ કૌભાંડમાં પકડાયેલ આરોપી હિતેષ ભરતભાઈ કાતરીયા ગ્રાહકોનો વિશ્વાસ જીતવા માટે અત્યંત શાતિર રીત અપનાવતો હતો. ગોડાદરાના મણીભદ્ર કેમ્પસમાં 'વામસી એન્ટરપ્રાઈઝ'ના નામે ચાલતા આ યુનિટમાં Manash Lifestyle Private Limited કંપનીની પ્રખ્યાત બ્રાન્ડ્સ જેવી કે GOOD VIBES અને DERMDOC HONEST SCIENCEના નામે ડુપ્લીકેટ સીરમ બનાવવામાં આવતા હતા. સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, આરોપી Flipkartના લોગો વાળી સેલો ટેપ અને આબેહૂબ અસલી લાગે તેવા સ્ટીકરોનો ઉપયોગ કરતો હતો. જ્યારે ગ્રાહક ઓનલાઇન ઓર્ડર આપે ત્યારે તેને ફ્લિપકાર્ટના પેકિંગમાં જ માલ મળતો હોવાથી ગ્રાહક ક્યારેય શંકા કરી શકતો નહોતો કે તેની અંદર રહેલું ફેસ સીરમ કે ગ્લાયકોલિક એસિડ નકલી છે. મોટી માત્રામાં નકલી જથ્થો અને જોખમી કેમિકલ્સપોલીસ દરોડા દરમિયાન જે મુદ્દામાલ મળી આવ્યો છે તે જોઈને ગ્રાહકોએ ખરેખર વિચારવાની જરૂર છે. સ્થળ પરથી Good Vibes Vitamin C E Face Serumની 160 બોટલ્સ, Dermdoc 10% Niacinamide Face Serumની 775 બોટલ્સ અને Dermdoc 5% Glycolic Acid ની 1281 બોટલ્સ મળી આવી છે. આ ઉપરાંત 2000થી વધુ નકલી સ્ટીકરો અને 700થી વધુ ખાલી ડબ્બીઓ મળી છે. આ ડબ્બીઓમાં કયા પ્રકારનું જોખમી કેમિકલ કે લિક્વિડ ભરવામાં આવતું હતું તેની કોઈ ગેરંટી નથી. આવી નકલી પ્રોડક્ટ્સ મોં પર લગાવવાથી ચામડી બળી જવી અથવા કાયમી એલર્જી થવાનું જોખમ રહેલું છે. માત્ર સસ્તી કિંમત કે ઓનલાઇન ડિસ્કાઉન્ટ જોઈને વસ્તુ મંગાવતા ગ્રાહકો માટે આ કિસ્સો બોધપાઠ સમાન છે. ગ્રાહકોએ શું ધ્યાન રાખવું જોઈએ?મુંબઈની કંપનીના લીગલ એટોર્ની નાગેશ્વર કુંભારે જ્યારે દરોડો પાડ્યો ત્યારે જાણવા મળ્યું કે, આરોપી પાસે માલ વેચવા માટેના કોઈ જ બિલ કે લાયસન્સ નહોતા. ઓનલાઇન ઓર્ડર કરતી વખતે હંમેશા સેલરના રેટિંગ તપાસવા જોઈએ અને ખૂબ જ વધારે ડિસ્કાઉન્ટ મળતું હોય તો સાવચેત રહેવું જોઈએ. સુરત પોલીસે આરોપી વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ 1957ની કલમ 51 અને 63 હેઠળ ગુનો નોંધી જેલભેગો કર્યો છે. ઓનલાઈન પ્લેટફોર્મનો દુરુપયોગઆ ગુનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આરોપી Flipkart જેવી પ્રતિષ્ઠિત ઈ-કોમર્સ સાઈટના લોગો અને ટેપનો ઉપયોગ કરતો હતો. ગ્રાહકોને છેતરવા માટે તે પ્રોડક્ટ પર અસલી લાગે તેવા સ્ટીકરો લગાવતો અને ઓનલાઈન ઓર્ડર મુજબ ડિલિવરી કરતો હતો. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પ્રોડક્ટ્સમાં વપરાતું લિક્વિડ અસલી કંપનીના માપદંડ મુજબનું નહોતું, જે ગ્રાહકોની ત્વચા માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 2:56 pm

મણુંદમાં ખેતરના બોર પરથી કેબલની ચોરી:તસ્કરોએ ત્રણ ઓરડીના તાળા તોડ્યાં, 240 ફૂટ કેબલ ઉઠાવી ગયા

પાટણ જિલ્લાના રણુંજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મણુંદ ગામની સીમમાં તસ્કરોએ ત્રણ અલગ-અલગ ખેતરોના બોર પરથી કુલ 240 ફૂટ કેબલ વાયરની ચોરી કરી છે. આ અંગે રણુંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મણુંદ ગામની અંબિકા સોસાયટીમાં રહેતા ખેડૂત કુલદીપકુમાર રમણભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની ખેતીની જમીન સંડેરથી ડાંભડી જતા ધરોઈ કેનાલ ઉપર ભરોળી નામના આંટામાં આવેલી છે. 27 જાન્યુઆરી, 2026ના રોજ સાંજે 4 વાગ્યાથી 28 જાન્યુઆરી, 2026ના સવારે 11 વાગ્યા દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમના બોરની ઓરડીનું તાળું તોડી પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઓરડીમાં લગાવેલ જોન્સન કંપનીનો 8 MMનો આશરે 70 ફૂટ જેટલો કેબલ વાયર કોઈ સાધન વડે કાપીને ચોરી કરી લીધો હતો. આ ઉપરાંત, મણુંદના દિનેશભાઈ શંકરભાઈ પટેલના ખેતરમાં આવેલા બોરની ઓરડીમાંથી પણ તસ્કરોએ 50 MMનો આશરે 30 ફૂટ કેબલ વાયર ચોર્યો હતો. તપાસ દરમિયાન વધુમાં જાણવા મળ્યું હતું કે, અગાઉ 3 જાન્યુઆરી, 2026 થી 4 જાન્યુઆરી, 2026 દરમિયાન મણુંદથી ડાભડી રોડ પર આવેલા સરસ્વતી ઇરીગેશન મંડળના બોર ઉપરથી પણ જોન્સન કંપનીનો 50 MMનો આશરે 100 ફૂટ કેબલ ચોરાયો હતો. આમ, કુલ 240 ફૂટ કેબલની ચોરી થઈ છે. ચોરીની આ ઘટના અંગે અગાઉ અરજી આપવામાં આવી હતી. કેબલની કોઈ ભાળ ન મળતા આખરે કુલદીપકુમાર પટેલે રણુંજ પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S) ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 2:51 pm

બોટાદ નગરપાલિકાના 3 માળની બિલ્ડિંગમાં 10 વર્ષે લિફ્ટની કામગીરી:વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 35 વર્ષથી પાણી અને રોડ-રસ્તા જેવી સમસ્યાઓ પણ શાસકોને યાદ આવે તેવી આશા

બોટાદ નગરપાલિકાના ત્રણ માળના ભવનમાં નિર્માણના 10 વર્ષ બાદ આખરે લિફ્ટ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2014માં બનેલા આ ભવનમાં અત્યાર સુધી લિફ્ટની સુવિધા ન હોવાને કારણે વૃદ્ધો અને દિવ્યાંગોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ વિલંબિત નિર્ણયને લઈ જિલ્લા રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને વિપક્ષે શાસક પક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. 10 વર્ષનો લાંબો ઈન્તજારનગરપાલિકાનું વર્તમાન ભવન 2014માં કાર્યરત થયું હતું, પરંતુ ત્રણ માળની આ ઈમારતમાં લિફ્ટનો અભાવ હતો. અશક્ત અને દિવ્યાંગ નાગરિકોને સરકારી કામકાજ માટે ઉપરના માળે જવા માટે સીડીઓ ચડવી પડતી હતી, જે અત્યંત કષ્ટદાયક સાબિત થતું હતું. એક દાયકા સુધી આ સમસ્યા તરફ દુર્લક્ષ સેવ્યા બાદ હવે તંત્ર જાગ્યું છે અને લિફ્ટ બેસાડવાનું કામ હાથ ધર્યું છે. વિપક્ષનો આકરો કટાક્ષલિફ્ટની કામગીરી શરૂ થતા બોટાદ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા રમેશ શીલુએ કટાક્ષ કરતા જણાવ્યું કે, 10 વર્ષ પછી નગરપાલિકાને લિફ્ટ યાદ આવી તે બદલ હું તેમને અભિનંદન આપું છું. મોડે મોડે પણ હવે અશક્ત, દિવ્યાંગ અને વૃદ્ધોને સુવિધા મળશે. પરંતુ જેમ 10 વર્ષે લિફ્ટ યાદ આવી, તેમ બોટાદમાં છેલ્લા 35 વર્ષથી પાણી અને રોડ-રસ્તા જેવી જે મૂળભૂત સમસ્યાઓ છે, તે પણ શાસકોને યાદ આવે તેવી આશા છે. નગરપાલિકા પ્રમુખનો પક્ષસામે પક્ષે નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયાએ બચાવ કરતા જણાવ્યું કે, ભવનની સ્થાપના બાદ વડીલો અને દિવ્યાંગોને પડતી મુશ્કેલીઓ અમારા ધ્યાને હતી. આ પ્રાથમિક જરૂરિયાતને અગ્રતા આપીને લિફ્ટનું કામ શરૂ કરાયું છે. આગામી સમયમાં શહેરના અન્ય પાયાના પ્રશ્નો અને સુવિધાઓ વિકસાવવા માટે પણ નગરપાલિકા કટિબદ્ધ છે. નગરજનોમાં મિશ્ર પ્રતિસાદ લિફ્ટનું કામ શરૂ થતા સ્થાનિકોમાં રાહતની લાગણી છે, પરંતુ લોકોમાં એ ચર્ચા પણ જોર પકડી રહી છે કે જો એક લિફ્ટ માટે 10 વર્ષ લાગતા હોય, તો શહેરના અન્ય જટિલ પ્રશ્નો ઉકેલાતા કેટલો સમય લાગશે? હવે જોવાનું એ રહે છે કે નગરપાલિકા વહીવટી તંત્ર પાણી અને રસ્તા જેવી પાયાની જરૂરિયાતો પર ક્યારે ધ્યાન આપે છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 2:50 pm

વર્લ્ડ લેપ્રસી-ડે પર દર્દીઓને લારી-વ્હીલચેરનું વિતરણ:રક્તપિત્તનો રોગ નાબૂદ નથી થયો, ભરૂચ, ડાંગ, વલસાડ, નવસારી ડિસ્ટ્રિક્ટમાં હજી પેશન્ટ છેઃ ડો. રિમા જોશી

આજે શહેરમાં વર્લ્ડ લેપ્રસી ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે લેપ્રસીથી પીડિત દર્દીઓને આત્મનિર્ભર બનાવવા માટે સહાયરૂપ પહેલ હાથ ધરવામાં આવી. મધુ દેવીપૂજક, જેઓ છેલ્લા દસ વર્ષથી રક્તપિત્તની બીમારીથી પીડિત છે, તેમને રોજગાર માટે શાકભાજી વેચી રોજી કમાઈ શકે તે હેતુથી લારી આપવામાં આવી. તે જ રીતે, શાહબાન અન્સારી, જેઓ ચાલી શકતા નથી, તેમને સિક્યુરિટી તરીકે નોકરી કરી શકે તે માટે વ્હીલચેરની ભેટ આપવામાં આવી. લેપ્રસીના કારણે શરીરના ચેતાતંતુઓ કામ કરવાનું બંધ કરી દે છે, જેના કારણે દર્દીઓ દૈનિક જીવનના સામાન્ય કાર્યો કરવામાં અસમર્થ બની જાય છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, શ્વાસ મારફતે વાયરસ શરીરમાં પ્રવેશે ત્યારબાદ રક્તપિત્ત જેવી ગંભીર બીમારી થાય છે. આ કાર્યક્રમ દ્વારા સમાજમાં લેપ્રસી અંગે જાગૃતિ ફેલાવવાનો તેમજ દર્દીઓને મુખ્ય પ્રવાહમાં જોડવાનો સંદેશ આપવામાં આવ્યો. લેપ્રેસી રોગ નાબૂદ નથી થયોઃ ડો. રિમા જોશીસ્કીન ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર ડો. રિમા જોશીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ એટલે કે 30 જાન્યુઆરી, 'વર્લ્ડ લેપ્રેસી ડે' તરીકે ઉજવવામાં આવે છે. લેપ્રેસી (રક્તપિત્ત)ના દર્દીઓ હજી પણ છે, લેપ્રેસી રોગ નાબૂદ નથી થયો. ભારત સરકાર દ્વારા એક 'નેશનલ લેપ્રેસી એલિમિનેશન પ્રોગ્રામ' ચલાવવામાં આવે છે અને જેનો મુખ્ય ગોલ 'લેપ્રેસી ફ્રી ઇન્ડિયા' છે, જે હજી આપણે અચીવ નથી કરી શક્યા. ‘10,000ની વસ્તીમાં એક કરતા પણ ઓછો કેસ હોય રોગ નાબૂદ કહી શકાય’ભારતના ઘણા બધા સ્ટેટમાં આ રોગ નાબૂદ થઈ ગયો છે, પણ હજી ઘણા સ્ટેટ જેવા કે બિહાર, છત્તીસગઢ, ઝારખંડ વગેરે સ્ટેટમાંથી પેશન્ટો આવે છે અને પેશન્ટો મળે છે. ગુજરાતમાં મોટા ભાગના ડિસ્ટ્રિક્ટમાં આ રોગ નાબૂદ થઈ ગયો છે. નાબૂદ થવાની વાત કરીશ તો જ્યારે લેસ ધેન વન કેસ પર ટેન થાઉઝન્ડ પોપ્યુલેશન એટલે કે 10,000ની વસ્તીમાં એક કરતા પણ ઓછો કેસ હોય તો તેને આ રોગ નાબૂદ થયો તેમ કહી શકાય. ’ભરૂચ, ડાંગ, વલસાડ, નવસારી ડિસ્ટ્રિક્ટમાં હજી ખૂબ પેશન્ટ’ગુજરાતના મોટા ભાગના ડિસ્ટ્રિક્ટમાં આ રોગ નાબૂદ થઈ ગયો છે, પણ હજી સાઉથ ગુજરાતના અમુક ડિસ્ટ્રિક્ટ એવા છે. જેમ કે ભરૂચ, ડાંગ, વલસાડ, નવસારીએ બધા ડિસ્ટ્રિક્ટમાં હજી પણ ખૂબ પેશન્ટ છે. આ માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા આ દિવસની આપણે ઉજવણી કરીએ છીએ. આ દિવસે અમે જુદા-જુદા અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ, સ્કીન કેમ્પ કરીએ છીએ કે જેથી લોકોમાં જાગૃતિ આવે અને પેશન્ટ સામેથી ટ્રીટમેન્ટ માટે આવે. અમે લોકોને આ રોગના લક્ષણો, રોગ કેવી રીતે લાગે છે અને રોગ લાગે તો શું કરવાનું, ક્યાં જવાનું, દવા કેવી રીતે લેવાની એ બધું સમજાવીએ છીએ. રેડિયો, ટીવી, ડ્રામા, સ્કીટ વગેરે માધ્યમથી અમે પ્રોગ્રામોનું આયોજન કરીએ છીએ. ‘અમારા ડિપાર્ટમેન્ટમાં એક વિશેષ રીતે ઉજવણી’આજના 2026ના નેશનલ લેપ્રેસી-ડે માટે અમે અમારા ડિપાર્ટમેન્ટમાં એક વિશેષ રીતે ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. અમે અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ કે જેઓ ભવિષ્યના ડોક્ટરો છે, એમના માટે એક લેક્ચરનું આયોજન કર્યું. જેમાં 150થી વધારે સ્ટુડન્ટસે ભાગ લીધો હતો અને એ લેક્ચરના બેઝ પર એક ક્વિઝ કોન્ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિજેતાઓને ઇનામ આપવામાં આવશે. એક વર્ષ સુધી મારા હાથ-પગ બિલકુલ ચાલતા નહોતાઃ દર્દીઆ અંગે દર્દી શાબાન અંસારીએ જણાવ્યું હતું કે, મને રક્તપિત્ત થયો હતો. એક વર્ષ સુધી મારા હાથ-પગ બિલકુલ ચાલતા નહોતા. પછી મેં દવા લીધી, જેનાથી મને આરામ મળ્યો. અત્યારે પણ બીજી દવાઓ ચાલુ છે. સિવિલ હોસ્પિટલમાંથી મને બધી જ દવાઓ મળી રહે છે. પહેલા તો ખૂબ જ તકલીફ હતી, હું બિલકુલ ચાલી શકતો નહોતો. પગ પણ માંડી શકાતા નહોતા. એક ગ્લાસ પાણી પણ જાતે પી શકતો નહોતો, કોઈ પીવડાવે ત્યારે જ પી શકાતું. અત્યારે મને ઘણો ફાયદો છે. દવાઓ ચાલુ છે. મને સાયકલ પણ મળી છે, જેનાથી હવે હું ક્યાંય પણ જઈ શકીશ, નાનો-મોટો ધંધો કરી શકીશ અને આરામથી ફરી શકીશ. દવા લેવાથી મને ઘણું સારું લાગે છેઃ મધુબેનઅન્ય દર્દી મધુબેન દેવીપૂજકે જણાવ્યું હતું કે, આ બીમારી મને 10 વર્ષ પહેલાં પણ થઈ હતી અને અત્યારે ફરી પાછી થઈ છે. અત્યારે હું બેસીને ધંધો કરું છું પણ હું બેસીને કામ કરી શકતી નથી. સિવિલ હોસ્પિટલ દ્વારા મને લારીની વ્યવસ્થા કરી આપી છે, ઉભા રહીને ધંધો કરી શકું. મને પગમાં સોજા આવતા હતા અને હવે દવા લેવાથી મને ઘણું સારું લાગે છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 2:44 pm

સરખેજ ફતેહવાડી કેનાલ પાસે ચાકુના ઘા મારી યુવકની હત્યા:મહિલાના પૂર્વ પતિએ હાલના પતિને પતાવી દીધો, પોલીસે તપાશ શરૂ કરી

અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સરખેજ ફતેહવાડી કેનાલ RCC રોડ પર આવેલ હમીદાનગર સોસાયટીમાં હત્યાની ઘટના બની છે. 32 વર્ષીય આમિર મુકીમ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. ચાકુના ઘા મારી યુવકની કરવામાં આવી છે. અફસાના બાનુંના પૂર્વ પતિ દ્વારા હાલના પતિની હત્યા કરવામાં આવી છે. મૃતકની પત્નીના પૂર્વ પતિ દ્વારા હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. સરખેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.અમે સમાચાર અપડેટ કરી રહ્યા છીએ….

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 2:26 pm

દેશની પહેલી LNG પર ચાલતી ટ્રેન, ખર્ચ ઓછો-પર્યાવરણને ફાયદો:ડીઝલની તુલનામાં ત્રણ ગણું વધુ અસરકારક, 1400 હોર્સપાવર ક્ષમતાની ટ્રેનોને LNG ફ્યુઅલ સિસ્ટમમાં ફેરવાઈ

ભારતીય રેલવે દ્વારા દેશમાં પહેલી વાર LNG એટલે કે લિક્વિફાઇડ નેચરલ ગેસ પર ચાલતી ટ્રેનનું સફળ સંચાલન કરવામાં આવ્યું છે. આ પહેલથી રેલવેને ખર્ચમાં બચત થશે અને પર્યાવરણને પણ મોટો ફાયદો મળશે. હાલ સુધી ટ્રેનોમાં ડીઝલનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે ભારતીય રેલવે DEMU અને DPC ટ્રેનોમાં ડીઝલના બદલે LNG ઇંધણનો ઉપયોગ શરૂ કરી રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ લગભગ 1400 હોર્સપાવર ક્ષમતા ધરાવતી ટ્રેનોને LNG ફ્યુઅલ સિસ્ટમમાં ફેરવવામાં આવી છે. આ ટ્રેનો અત્યાર સુધીમાં 2000 કિલોમીટરથી વધુ અંતર કવર કરી ચૂકી છે અને નિયમિત મુસાફરી સેવાઓમાં પણ ચાલી રહી છે. 23.9 લાખ રૂપિયા સુધીની બચત રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, LNG ઇંધણથી પ્રદૂષણમાં મોટો ઘટાડો થાય છે. કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને ધૂળકણ જેવા હાનિકારક તત્વો ઓછા ઉત્પન્ન થાય છે, જેના કારણે રેલવે ટ્રેકની આસપાસ હવાની ગુણવત્તા સુધરે છે. આ સાથે જ ઇંધણ ખર્ચમાં પણ નોંધપાત્ર બચત થઈ રહી છે. ડીઝલની તુલનામાં LNG સસ્તુ હોવાથી ટ્રેન ચલાવવાનો કુલ ખર્ચ ઘટે છે. અંદાજ મુજબ, એક DPC ટ્રેનમાં વર્ષે આશરે 11.9 લાખ રૂપિયાની બચત થાય છે, જ્યારે 8 કોચની DEMU ટ્રેનમાં આ બચત 23.9 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. LNG એન્જિન ડીઝલની તુલનામાં ત્રણ ગણું વધુ અસરકારકરેલવેના DRM વેદ પ્રકાશે જણાવ્યું કે, ડીઝલ એન્જિનમાં એક કિલોમીટર દીઠ લગભગ 1.5 કિલો ડીઝલ વપરાય છે, જ્યારે LNG એન્જિનમાં માત્ર 0.43 કિલો ગેસ વપરાય છે. એટલે કે LNG એન્જિન ડીઝલની તુલનામાં ત્રણ ગણું વધુ અસરકારક છે. ખાસ વાત એ છે કે LNG ફ્યુઅલ સિસ્ટમથી એન્જિનની શક્તિ કે કામગીરીમાં કોઈ ઘટાડો થતો નથી. એન્જિનની વિશ્વસનીયતા પણ ડીઝલ જેટલી જ રહે છે. એક LNG ટેન્ક સાથે DPC ટ્રેન લગભગ 2200 કિલોમીટર સુધી દોડી શકે છે, જેથી વારંવાર ઇંધણ ભરવાની જરૂર રહેતી નથી. મહેસાણા અને સાબરમતી સેક્શનમાં ટ્રાયલહાલમાં આ ટ્રાયલ મહેસાણા અને સાબરમતી સેક્શનમાં ચાલી રહ્યો છે. આવનારા સમયમાં આ સેક્શનની 8થી 10 વધુ ટ્રેનોમાં LNG ટેકનોલોજી અપનાવવાની યોજના છે. તમામ પરીક્ષણો અને મંજૂરી બાદ આ ટેકનોલોજીનો વ્યાપક સ્તરે ઉપયોગ કરવામાં આવશે. આ રીતે, LNG આધારિત ટ્રેનો દ્વારા ભારતીય રેલવે સ્વચ્છ ઊર્જા, ઓછું પ્રદૂષણ અને કિફાયતી સંચાલન તરફ એક મજબૂત પગલું આગળ વધારી રહી છે, જે દેશના પર્યાવરણ અને અર્થતંત્ર બંને માટે લાભદાયી સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 2:20 pm

પંચમહાલ LCBએ ચોરાયેલી અર્ટિકા શોધી કાઢી:સુલીયાત ગામેથી આરોપી ઝડપાયો, કાર લોનના હપ્તા ન ભરાતા ચોરી કરી હતી

પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ સુલીયાત ગામેથી ચોરી થયેલી અર્ટિકા કાર શોધી કાઢી છે. આ ગુનામાં સંડોવાયેલા એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. ગત ૦૯ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ પંચમહાલ જિલ્લાના મોરવા (હડફ) તાલુકાના સુલીયાત ગામેથી GJ-21-CD-9941 નંબરની અર્ટિકા કારની ચોરી થઈ હતી. આ અંગે મોરવા (હ) પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૧) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. રેન્જ આઈ.જી. શ્રી આર.વી. અસારી અને એસ.પી. શ્રી ડૉ. હર્ષદભાઈ દુધાતની સૂચના હેઠળ, LCB પી.આઈ. એન.એલ. દેસાઈના માર્ગદર્શનમાં ટીમો કાર્યરત હતી. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી પોલીસને બાતમી મળી હતી કે સુરતનો એક શખ્સ આ ચોરીમાં સંડોવાયેલો છે. બાતમીના આધારે LCB એ આરોપી કૈલાસકુમાર ભવરલાલ જૈનને પકડી પાડ્યો હતો. કડક પૂછપરછ દરમિયાન તેણે ગુનાની કબૂલાત કરી હતી. આરોપીએ જણાવ્યું હતું કે તેણે વર્ષ ૨૦૨૪માં આ કાર લોન પર લીધી હતી, પરંતુ હપ્તા ન ભરાતા બેંકે કાર જપ્ત કરી લીધી હતી અને તેને અન્ય કોઈને વેચી દીધી હતી. પોતાની જૂની કાર પાછી મેળવવાની લાલચમાં તેણે બીજી ચાવીનો ઉપયોગ કરીને સુલીયાત ગામેથી આ કારની ચોરી કરી હતી. પોલીસે આશરે રૂ. ૩,૫૦,૦૦૦ ની કિંમતની અર્ટિકા કાર કબ્જે કરી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 2:14 pm

મોરબીમાં નર્મદા કેનાલમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો:નીચી માંડલ પાસે ઘટના, પોલીસે ઓળખ માટે તપાસ હાથ ધરી

મોરબી-હળવદ હાઈવે રોડ પર આવેલા નીચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ મોરબી મહાપાલિકાના ફાયર વિભાગ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ગામના સરપંચ પ્રદીપભાઈ કુંડારિયાએ ફાયર વિભાગને જાણ કરી હતી કે કેનાલમાં કોઈ યુવાનનો મૃતદેહ પડ્યો છે. માહિતી મળતા જ ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને કેનાલના પાણીમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. પોલીસે અજાણ્યા યુવાનના મૃતદેહની ઓળખ મેળવવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 2:12 pm

કુંભારવાડાના મેઘનગરમાં બે ભાઈઓનો છરીથી યુવક પર હુમલો:શેરીમાં ગાળો બોલવા બાબતે મારામારી, ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો; ફરિયાદ નોંધાઈ

ભાવનગરમા કુંભારવાડાના મેઘનગર વિસ્તારમાં ગાળો બોલવા જેવી સામાન્ય બાબતે એક યુવક પર બે ભાઈઓએ છરી અને લાકડાના ધોકા વડે હુમલો કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલા બાદ ઇજાગ્રસ્ત યુવકને 108 દ્વારા હોસ્પિટલ ખસેડી તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. બોરતળાવ પોલીસે બંને ભાઈઓ સામે ગુનો નોંધી આ મામલે તપાસ શરૂ કરી છે. ગાળો બોલવાની ના પાડતા જીવલેણ હુમલોકુંભારવાડાના મેઘનગરમા મોક્ષમંદિર પાસે રહેતા આકાશ બીપીનભાઈ રાજગુરૂએ બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 29 જાન્યુઆરીના દિવસે રાત્રીના સમયે મારી માતા મીનાબેન ઘરની બહાર નિકળ્યા હતા, તે દરમ્યાન શેરી નંબર 9મા રહેતા હર્ષદભાઇ ઉર્ફ હક્કો ભુપતભાઈ મકવાણા રોડ પર બેઠો બેઠો ગાળો બોલતો હતો, એ દરમ્યાન મે ઘરની બહાર નીકળી હર્ષદને ગાળો બોલવાની ના પાડતા સામાન્ય જેવી બાબતે અમારી બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. છરી હાથના ભાગે મારી દીધીજેથી તેણે બાજુમા પડેલ લાકડાનો ધોકો માથા ઉપર આકાશને ઇજા કરી અને હર્ષદે તેના ભાઇ કરણ ઉર્ફે પટટુને ફોન કરી બોલાવી લેતા કરણ તેના હાથમા છરી લઈને દોડી આવી ગાળો દેવા લાગ્યો હતો અને તેના હાથમાં રહેલ છરી આકાશના હાથના ભાગે મારી હતી. તે દરમ્યાન મારા પિતા અને મારી બહેન આવી જતા વધુ મારથી છોડાવ્યો હતો. 'જો અમારૂ નામ લીધુ છે તો તમને જીવતા નહી રહેવા દઈએ'આકાશે કહ્યું કે, બન્ને ભાઈઓ જતા જતા કહેતા ગયા હતા કે હવે જો અમારૂ નામ લીધુ છે તો તમને જીવતા નહી રહેવા દઈએ, ત્યાર બાદ મારા પિતાએ 108ને જાણ કરી મને ઇજાગ્રસ્ત હાલતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં મને હાથમાં ચાર ટાકા આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું. બંને ભાઈઓ સામે ફરિયાદ નોંધાઈતે બાદ આ મામલે ફરિયાદી અને તેના માતાપિતા સાથે બોરતળાવ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, અને આ બાબતે ફરીયાદ દાખલ કરાવી હતી. જે ઘટનાની ફરિયાદના આધારે બોરતળાવ પોલીસ મથકે હર્ષદ ઉર્ફે હક્કો ભુપતભાઈ મકવાણા અને કરણ ઉર્ફે પટટુ ભુપતભાઈ મકવાણા વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ બંને ભાઈઓ કુંભારવાડાના મેઘનગર વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા BNS ની કલમ 115(2), 118(1), 352, 351(3), 54 તેમજ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 2:11 pm

બે બાઈક અને મોબાઈલ સહીત 1 લાખનો મુદામાલ કબ્જે:મારી બહેન સામે કેમ જોવસ કહી માર મારી લૂંટ ચલાવનાર ત્રિપુટી ઝડપાઇ, બે આરોપી અગાઉ ડુપ્લીકેટ પોલીસ બની પૈસા પડાવ્યા હોવાનું આવ્યું સામે

રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 23 તારીખના રોજ નોંધાયેલ લૂંટના ગુનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી લૂંટમાં ગયેલ બે બાઈક અને મોબાઈલ સહીત કુલ 1 લાખ સહિતનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં પકડાયેલ આરોપીઓ અગાઉ પણ અલગ અલગ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ત્રણ પૈકી બે આરોપીઓ દ્વારા અગાઉ ડુપ્લીકેટ પોલીસ બની લૂંટ ચલાવવામાં આવી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. રાજકોટ શહેર એસીપી બી જે ચૌધરીએ જણાવ્યું હતું કે, ગત 23 જાન્યુઆરીના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ગણતરીની કલાકોમાં આ ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપી સમીર ચાનીયા (ઉ.વ.24), સલીમ ઠેબા (ઉ.વ.24) અને અજરૂદીન સફિયા (ઉ.વ.23)ની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી તેની પાસેથી કુલ લૂંટમાં વપરાયેલ બાઈક સહીત મોબાઈલ મળી કુલ 1.05 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપીઓ પૈકી સમીર ચાનીયા (ઉ.વ.24) વિરુધ્ધ રાજકોટ શહેરમાં અલગ અલગ ત્રણ ગુના, આરોપી સલીમ ઠેબા (ઉ.વ.24) વિરુધ્ધ રાજકોટ જામનગર મળી કુલ 8 ગુના નોંધાઈ ચુક્યા છે તેમજ બે વખત પાસા હેઠળ પણ ધકેલાઈ ચુક્યો છે. બન્ને આરોપીઓ દ્વારા ગત વર્ષે રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ ડુપ્લીકેટ પોલીસ બની રૂપિયા પડાવ્યા હોવાની પણ ફરિયાદ નોંધાઈ ચુકી છે. આરોપીઓની મોડેસ ઓપરેન્ડી જ મુખ્ય એ છે કે કોઈ પણ રીતે ધાક ધમકી અને માર ફૂટ કરી ચોરી અને લૂંટના ગુનાને અંજામ આપવો. આરોપીઓ પૈકી સલીમ ઠેબાનો મિત્ર અજરૂદીન સાફિયા જામનગરથી રાજકોટ પોતાના બેનના ઘરે આવ્યો હતો દરમિયાન બન્ને આરોપીઓએ અજરૂદીનને સાથે લઇ આ લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે ત્રયેણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદી સંજયભાઈ પરમાર રાત્રી દરમિયાન એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉભો હતો અને ફોનમાં તેના મિત્ર સાથે વાત કરતો હતો દરમિયાન આરોપીઓ આવી સામે ઉભેલી મારી બહેન સામે કેમ જોવશ કહી ખોટી રીતે માર મારી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 2:09 pm

ચાણસ્મામાં બહુચરધામ ત્રિ-મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ:20થી 22 ફેબ્રુઆરીએ ધાર્મિક કાર્યક્રમો, 22 ફેબ્રુઆરીએ મૂર્તિ પ્રતિષ્ઠા

પાટણના ચાણસ્મા હાઈવે રોડ પર સુદામા ચોકડી પાસે નવનિર્મિત બહુચરધામ ત્રિ-મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી ફેબ્રુઆરી માસમાં યોજાશે. આ ત્રણ દિવસીય મહોત્સવ 20 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી, 2026 દરમિયાન વિવિધ ધાર્મિક વિધિઓ અને કાર્યક્રમો સાથે ઉજવાશે. આ મહોત્સવ હસમુખલાલ અંબાલાલ મણિયાર પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. મહોત્સવના અંતિમ દિવસે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે. કાર્યક્રમની વિગતો અનુસાર, પ્રથમ દિવસે 20 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ મંડપ પ્રવેશ, અગ્નિ સ્થાપન અને ગ્રહ હોમ જેવી વિધિઓ સાથે મહોત્સવનો પ્રારંભ થશે. આ દિવસે રાત્રે 9:00 કલાકે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજા દિવસે 21 ફેબ્રુઆરી, શનિવારના રોજ સવારે 8:30 કલાકે બહુચર માતાજી મંદિર, ખાન સરોવરથી સુદામા ચોકડી થઈ બહુચરધામ ત્રિ-મંદિર સુધી જળયાત્રા અને શોભાયાત્રા નીકળશે. રાત્રિના સમયે સુંદરકાંડના પાઠ કરવામાં આવશે. મહોત્સવના ત્રીજા અને અંતિમ દિવસે 22 ફેબ્રુઆરી, રવિવારના રોજ મુખ્ય ધાર્મિક વિધિઓ સંપન્ન થશે. જેમાં શિખર પૂજન, કળશ અભિષેક અને ધ્વજારોહણ બાદ બપોરે 12:36 કલાકે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાશે. બપોરે 3:00 કલાકે શ્રીફળ હોમીને યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ સમગ્ર મહોત્સવના આચાર્ય તરીકે જનકભાઈ રમણભાઈ અગ્નિહોત્રી સેવા આપશે. મહોત્સવના સમાપન બાદ સાંજે 5:00 કલાકે સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 2:04 pm

રાજકોટનાં હજારો લોકો આવતીકાલે તરસ્યા રહેશે:રાજકોટનાં 4 વોર્ડની 100 જેટલી સોસાયટીમાં પાણી વિતરણ બંધ રહેશે, લીકેજ રીપેરીંગ અને સફાઈ માટે શટડાઉનને કારણે લેવાયો નિર્ણય

રાજકોટ મનપા દ્વારા આવતીકાલે પાણીકાપ જાહેર કરાયો છે. જેમાં વોર્ડ નંબર 4, 5, 7 અને 14 સહિત 4 વોર્ડનાં અનેક વિસ્તારોમાં કાલે પાણી વિતરણ કરવામાં આવશે નહીં. બેડી ફિલ્ટર પ્લાન્ટ, ગ્રીનલેન્ડ હેડવર્કસ અને જીલ્લા ગાર્ડન હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં આ કામગીરીને કારણે પાણી કાપ ઝીંકવામાં આવ્યો છે. મનપા દ્વારા મુકવામાં આવેલા પાણીકાપને કારણે જુદા જુદા 4 વોર્ડની 100 જેટલી સોસાયટીનાં હજારો લોકો તરસ્યા રહેશે. તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, મેઈન પંપ હાઉસથી ઈ.એસ.આર તરફ જતી મુખ્ય હેડર લાઈનમાં ગંભીર લીકેજ સર્જાયું છે. ખાસ કરીને ડકટ ફૂટ બેન્ડમાં લીકેજ હોવાને કારણે મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો હતો, જેનું સમારકામ કરવું અનિવાર્ય બન્યું છે.તેમજ મેઈન પમ્પ હાઉસ અને જયુબેલી પમ્પ હાઉસની લાઈનોને જોડતા ઈન્ટરસેપ્ટર વાલ્વના રીડ્યુસરમાં પણ લીકેજની સમસ્યા જોવા મળી છે. આ ટેકનિકલ ખામીઓને દૂર કરવા માટે નવો વાલ્વ બેસાડવાની અને રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. સાથે જ જીલ્લા ગાર્ડન ખાતે આવેલા GSR (ગ્રાઉન્ડ સ્ટોરેજ રિઝર્વોયર) ની સફાઈ કામગીરી પણ કરવાનું આયોજન છે, જેથી ભવિષ્યમાં શુદ્ધ પાણીનું વિતરણ નિયમિતપણે કરી શકાય. તમામ કામગીરી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ 31-01-2026ના રોજ કુલ 1 દિવસ માટે સત્તાવાર રીતે શટડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોની વિગતવાર યાદી વોર્ડ નંબર 4 (બેડી હેડવર્કસ હેઠળના વિસ્તારો): આ વોર્ડના વેલનાથ પરા, સાગર પાર્ક, સાઈ પાર્ક, કબીર ધામ, સ્કાય રેસીડેનસી, રાજ લક્ષ્મી, સોહમ નગર, રાધિકા પાર્ક, આર ડી રેસીડેનસી, સીધી વિનાયક પાર્ક, ઓમ પાર્ક, હરી નગર, સુખ સાગર પાર્ક, અર્જુન પાર્ક, શિવમ પાર્ક, બજરંગ પાર્ક, સીતારામ પાર્ક, શાંતિ બંગલો, સરદાર એવનયુ અને સીતારામ પાર્ક સૂચિતમાં પાણી નહીં આવે. વધુમાં, ઘનશ્યામ નગર, આનંદ એવનયુ, સેટેલાઇટ પાર્ક, રાધા મીરા પાર્ક, શ્રી વાટીકા, આસ્થા વેનટીલા, ઇન્દ્રપ્રસ્થ 1 તથા 2, વૈદિક વિહાર, બ્રમ્હાણી પાર્ક 1 તથા 2, રામ પાર્ક, રાજ રેસીડેનસી, ઠાકોર દ્વાર 1 તથા 2, જય, ગુરુદેવ પાર્ક, પંચવટી સોસાયટી, વ્રજભુમી રેસીડેનસી, શ્રી રેસીડેનસી, રિયાન રેસીડેનસી, રાજમોતી રેસીડેનસી, શક્તિ પાર્ક, પુષ્કરધામ રેસીડેનસી, જયસન પાર્ક, રોયલ રેસીડેનસી, સંગીતા પાર્ક, 54/1-2-3, 25 વારીયા, જય જવાન જય કિશાન સોસાયટી, ઉત્સવ પાર્ક, ધારા એવનયુ, ચંદ્ર પાર્ક, જય પ્રકાશનગર, સુખ સાગર પાર્ક, અંબિકા પાર્ક, હરી સાગર પાર્ક, મારુતી નંદન, યોગી પાર્ક, આનંદ પાર્ક, અભિરામ પાર્ક, તેજ રેસી, કલ્પતરુ, શિવ ધારા સી, સ્વસ્તિક વિલા, સિલ્વર પાર્ક, સદગુરુ પાર્ક, ક્રાંતિમાનવ સેવા સ્મસાન મફતીયાપરા લાલપરી, વિનાયક ફ્લેટ, 25 વરીયા એકતા સોસાયટી, બદરી પાર્ક, શિવમ પાર્ક, રામ પાર્ક, અલી કાદર પાર્ક, વંદે માતરમ પાર્ક, પરસોતમ પાર્ક, ભગવતી પરા, ગાંધી સ્મૃતિ, નંદન વન, શાંતિનગર, શિવમ પાર્ક 3, નુર રેસિડેન્સી, એ.જી.પાર્ક, શિવમ પાર્ક, બુરહાની પાર્ક, કેશવ પાર્ક, સુખસાગર, અંબિકા પાર્ક, ખોડલ પાર્ક ડી, મકવાણા સોસાયટી, નકલંક પાર્ક, ગોપાલ રેસિડેન્સી, સિલ્વર પાર્ક, નંદ નગર, આરાધના પાર્ક, સોમનાથ વિલા, કલ્પતરુ અને જાનલ પાર્ક જેવા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. વોર્ડ નંબર 5 (ગ્રીનલેન્ડ હેડવર્કસ હેઠળના વિસ્તારો): અલકા પાર્ક, ભગીરથ સોસા., ગાંધી સ્મૃતિ સોસા-1-2, ગ્રામલક્ષ્મી સોસા., ગ્રીનગોલ્ડન પાર્ક, ગુજરાત સોસા., ગુલાબવાડી, હનુમાનપરા, હરિદ્વાર પાર્ક, ખોડીયાર પાર્ક, કોહિનૂર પાર્ક, એલ.પી.પાર્ક, લાખેશ્વર સોસા., લાલપરી મફતીયાપરા, માલધારી સોસા., માંન્છાનગર ખાડો, મનહર સોસા., મણીનગર, માર્કેટિંગ યાર્ડ હુડકો ક્વાર્ટર, મારૂતીનગર-1-2-3, મીરાપાર્ક, નારાયણ નગર, નરસિંહનગર, નવાગામ આવાસયોજના, નવાગામ શક્તિ સોસા. 56ન્યુ, ન્યુ ગાંધી સ્મૃતિ સોસા., ન્યુ શક્તિ સોસા., પટેલ પાર્ક, પેડક સંસ્થા, પ્રજાપતિ નગર, રામપાર્ક, રાધેપર્ક, રઘુવીર પાર્ક, રણછોડનગર, રણછોડવાડી-1-2, રત્નદીપ સોસા., સદગુરુ રણછોડનગર, સંતકબીર સોસા., સરદાર પટેલ કોલોની, સેટેલાઇટ પાર્ક, શિવમનગર, શિવનગર, શિવ સૃષ્ટી સોસા.-1-2-3, શ્રીરામ સોસા., શ્યામપાર્ક, સિધ્ધીવિનાયક સોસા., સીતારામનગર, વ્રજભુમી માલધારી સોસા., વલ્લભનગર, વાલ્મીકી આવાસ યોજના, રુન્દાવન સોસા. અને ઝરીયા સોસાયટીમાં પણ શનિવારે પાણીનું વિતરણ થશે નહીં. વોર્ડ નંબર 7 અને 14 (જીલ્લા ગાર્ડન હેડવર્કસ હેઠળના વિસ્તારો): વોર્ડ નંબર 7માં કરણપરા, પ્રહલાદપ્લોટ, રામનાથપરા, દિવાનપરા, હાથીખાના, કોટક શેરી, વર્ધમાન નગર, રધુવીરપરા, સોનીબજાર, ધર્મેન્દ્ર રોડ, ખત્રીવાડ અને લાખાજીરાજ રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. જ્યારે વોર્ડ નંબર 14માં લક્ષ્મીવાડી, ગુંદાવાડી, કેવડાવાડી, લલુડી વોકડી, બાપુનગર, બાપુનગર સ્લમ ક્વાટર, ગોવિંદપરા, કોઠારીયા કોલોની (પાર્ટ), પુજારા પ્લોટ (પાર્ટ), સોરઠીયા વાડી, જયરાજ પ્લોટ, કુંભારવાડા, હાથીખાના (પાર્ટ), સોરઠીયા પ્લોટ, ઘાંચીવાડ, નવયુગપરા અને મીલપરા (પાર્ટ) વિસ્તારોમાં પાણી કાપની અસર થશે. ઉલ્લેખનીય છે કે, મનપાનાં વોટરવર્ક્સ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભવિષ્યમાં લાઈન ફાટવાની કે મોટા ભંગાણની શક્યતા ટાળવા સમારકામની કામગીરી ખૂબ જ જરૂરી છે. આ શટડાઉનને કારણે હજારો લોકોને હાલાકી ભોગવવી પડી શકે છે, તેથી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અગાઉથી જાણ કરી પાણીનો સંગ્રહ કરવા અને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ રવિવારથી રાબેતા મુજબ પાણી વિતરણ શરૂ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 1:57 pm

વડોદરામાં ન્યુરો-સાયન્સ સેવાઓનું વિસ્તરણ:ઝાયડસ હૉસ્પિટલ્સે VINS હૉસ્પિટલ હસ્તગત કરી, ન્યુરો-કેરનું કેન્દ્ર બનશે

300 બેડ ધરાવતી વડોદરાની ઝાયડસ મલ્ટિસ્પેશિયાલિટી અને કેન્સર હૉસ્પિટલે, વડોદરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોલોજીકલ સાયન્સ (VINS) હૉસ્પિટલ હસ્તગત કરી છે. 50 બેડ ધરાવતા આ સેન્ટરના સંપાદન સાથે, ઝાયડસ હૉસ્પિટલ્સને ન્યુરોલોજી અને ન્યુરોસર્જરીમાં એક સમર્પિત સેન્ટર મળશે જે તેને ન્યુરો-કેરની જરૂરિયાત ધરાવતાં દર્દીઓ સુધી પહોંચવા સક્ષમ બનાવશે. આ વિષય પર, ઝાયડસ હૉસ્પિટલ્સના ચેરમેન પંકજભાઈ પટેલે જણાવ્યું હતું કે,ઝાયડસ મલ્ટીસ્પેશિયાલિટી અને કેન્સર હૉસ્પિટલ ઝડપથી વડોદરામાં એડવાન્સ્ડ મેડિકલ કેર માટેનું એક વિશ્વસનીય કેન્દ્ર બની ગયું છે. VINS હૉસ્પિટલને એક્વાયર કરવા સાથે, અમે અમારી ન્યુરો-સ્પેશિયાલિટી ક્ષમતાઓને નોંધપાત્ર રીતે મજબૂત બનાવી રહ્યા છીએ. જેની હેઠળ અગ્રણી ક્લિનિકલ કુશળતા, અદ્યતન ટેકનોલોજી અને વ્યાપક સેવાઓને અમે એકસાથે લાવી રહ્યા છીએ. આ સાથે ઝાયડસ, વડોદરા તથા સમગ્ર વિસ્તારના લોકો માટે વિશ્વ-સ્તરીય આરોગ્યસંભાળ ઘરઆંગણે ઉપલબ્ધ કરાવશે અને ન્યુરોસાયન્સ સંભાળ માટે ભારતના સૌથી વ્યાપક કેન્દ્રોમાંના એક બનાવવાના અમારા વિઝનને આગળ વધારશે. ન્યુરોસાયન્સ પોર્ટફોલિયોને નોંધપાત્ર રીતે વધુ સક્ષમ બનાવશેઆ પગલું ઝાયડસ હૉસ્પિટલ્સના ન્યુરોસાયન્સ પોર્ટફોલિયોને નોંધપાત્ર રીતે વધુ સક્ષમ બનાવશે, જે બ્રેઈન અને સ્પાઇનલ ટ્યુમર, એન્યુરિઝમ, મૂવમેન્ટ ડિસઓર્ડર્સ, સ્ટ્રોક, ટ્રોમા, ડીપ બ્રેઇન સ્ટીમ્યુલેશન (DBS), તેમજ એપિલેપ્સી સર્જરીની સાથે સંપૂર્ણ એપિલેપ્સી કેર જેવી જટિલ પરિસ્થિતિઓનું સંચાલન કરવા માટે કુશળતા લાવશે. આ ડોક્ટરો જોડાશેબે દાયકા પહેલા ડૉ.મોનિશ મલ્હોત્રાના નેતૃત્વ હેઠળ સ્થાપિત થયેલી VINS હૉસ્પિટલે વડોદરામાં વિશેષ ન્યુરોલોજીકલ સારવાર માટે પ્રતિષ્ઠા હાંસલ કરી છે. જેમાં પ્રખ્યાત નિષ્ણાતો ડૉ.સુરેશ નાયક,ડૉ.રાકેશ શાહ અને ડૉ. મિહિર આચાર્ય, ઝાયડસ ટીમનાં ડૉ.ચતુર્ભુજ રાઠોડ તથા ડૉ. ભગવતી સાલગોત્રા સાથે જોડાશે. તેમના દાયકાઓનાં ક્લિનિકલ અનુભવ અને સર્જિકલ કુશળતાથી ઝાયડસની ન્યુરો સેવાઓ વધુ વિસ્તૃત બનશે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 1:52 pm

લીંબડી હાઈવે પર કતલખાને લઈ જવાતા પશુઓ બચાવાયા:જીવદયા પ્રેમીઓએ ટ્રકમાંથી 23 અબોલ જીવોને મુક્ત કરાવ્યા

લીંબડી-અમદાવાદ નેશનલ હાઈવે પર જીવદયા પ્રેમીઓએ કતલખાને લઈ જવાતા 23 પશુઓને બચાવ્યા છે. લીંબડી નજીક એક બ્રિજ પર વોચ ગોઠવીને એક ટ્રકને રોકવામાં આવી હતી. ટ્રકની તપાસ કરતાં તેમાંથી 20 ગાય અને 3 વાછરડા સહિત કુલ 23 અબોલ જીવો મળી આવ્યા હતા. આ તમામ પશુઓને ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા. જીવદયા પ્રેમીઓએ તાત્કાલિક ધોરણે પશુઓને બચાવી લીધા હતા. ત્યારબાદ, તમામ પશુઓને સુરક્ષિત રીતે પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા. આ મામલે ટ્રક ચાલકને ઝડપી પાડી લીંબડી પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પાણશીણા ચેકપોસ્ટ હોવા છતાં આવા પશુ ભરેલા વાહનો કેવી રીતે પસાર થાય છે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. જીવદયા પ્રેમીઓએ પોલીસ દ્વારા આ મામલે યોગ્ય અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 1:52 pm

પાણીની સમસ્યાને લઈ સત્તાધીશો પર જળાભિષેક:ગોરવામાં MLA કેયૂર રોકડિયા અને ડે. મેયર ચિરાગ બારોટના ફોટો પર જળાભિષેક કરી માટલા ફોડ્યા, સમસ્યાનો અંત નહીં આવે તો કમિશનર પર જળાભિષેક કરીશું

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ વોર્ડ નં 11માં આવેલી શિવશકતિ સોસાયટીમા પીવાના પાણીની સમસ્યાને લઈ આજે આપ નેતા અને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં લોકો પાણી આપો પાણી આપો અને હાયરે કોર્પોરેશન હે હાય ના નારા લગાવી પોતાની માંગ કરી હતી. અહીંયા સ્થાનિકો દ્વારા સ્થાનિક કોર્પોરેટર અને હાલના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને ધારાસભ્ય કેયુર રોકડિયાના ફોટો ખુરશીમાં મૂકી જળાભિષેક કરવામાં આવ્યો હતો સાથે માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અહીંયા પીવાનું પાણી ગંદું આવી રહ્યું છે. જેને લઇને આજે આપ નેતા વીરેન્દ્ર રામી અને સ્થાનિકો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કાઉન્સિલર અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને ઘારાસભ્ય કેયુર રોકડીયાના પોસ્ટર પર ગંદા પાણીનો જળાભિષેક કરી વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે આગામી સમયમાં જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો પાલિકાના મ્યુનિસિપલ કમિશનર પર જળાભિષેક કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ અંગે આમ આદમી પાર્ટીના નેતા વિરેન રામીએ જણાવ્યું હતું કે, અહીંયા આવેલા ગણેશનગર, શિવશક્તિ અને આજુબાજુની તમામ સોસાયટીઓની અંદર ગંદુ પાણી આપવામાં આવે છે. આ બાબતે વારંવાર લોકોએ રજૂઆત કરી પણ ના તો ચૂંટાયેલા કોઈ પ્રતિનિધિ આવે છે. જેથી આજે ચોખ્ખું પાણી ભગવાનને અભિષેક થાય પણ ચોખ્ખું પાણી આવતું નથી એટલે ગંદા પાણીથી આજે આ રાજનેતાઓ એટલે અહીંયાના ધારાસભ્ય કેયુર રોકડિયા અને ડેપ્યુટી મેયર અને વોર્ડના કોર્પોરેટર ચિરાગભાઈ બારોટ પર ગંદા પાણીનો અભિષેક કરીને વિરોધ પ્રદર્શન કરવાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આગામી દિવસોમાં જો પાણીની સમસ્યાનો હલ નહીં થાય તો આજ મોરચો કમિશનર ઓફિસે જઈ અને કમિશનર પર આ પાણી ગંદુ નાખીને અભિષેક કરીશું. આ અંગે સ્થાનિક મહિલા નેહાબેન જોશીએ જણાવ્યું હતું કે, અમે અમારા MLA, અમારા ધારાસભ્ય પર ગંદા પાણીનો અભિષેક કર્યો છે, માટલા ફોડ્યા છે. અમને ગંદુ પાણી એટલું હદનું ગંદુ આવે છે કે તમે નાહવા લાયક નથી, પીવાની વાત તો બહુ દૂર છે પરંતુ નાહવા લાયક પણ નથી. અમને ચોખ્ખું પાણીમાટે તેવી અમારી માંગ છે. અમે સમયસર વેરો ટેક્સ ભરીએ છીયે તેનું શું. અમે આ રજૂઆત છેલ્લા 150 વાર કરી છે. અહીંયા અમારી રજૂઆત સંભાળવા કોઈ આવતું જ નથી. વોટ લેવા માટે આવશે તો અમે મારીને ભગાડીશું. અમે આગમી ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને કોઈને વોટ આપીશું નહીં.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 1:51 pm

વલસાડ રાજહંસ મલ્ટીપ્લેક્સમાં મોટી દુર્ઘટના ટળી:‘બોર્ડર-2’ શો પહેલા સીલિંગનો ભાગ તૂટી પડ્યો, કોઈ જાનહાનિ નહીં

વલસાડના વશિયર વિસ્તારમાં આવેલા રાજહંસ મલ્ટીપ્લેક્સમાં આજે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. ‘બોર્ડર-2’ ફિલ્મના શો શરૂ થતા પહેલા જ ઓડિટોરિયમની સીલિંગનો એક ભાગ તૂટી પડ્યો હતો. સદનસીબે, આ સમયે પ્રેક્ષકો હોલમાં પ્રવેશ કરી રહ્યા હોવાથી કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે 9 વાગ્યાના શો માટે પ્રેક્ષકોની એન્ટ્રી શરૂ થઈ રહી હતી. તે દરમિયાન સ્ક્રીનની સામેના ભાગમાં આવેલી પીઓપી (POP) સીલિંગનો એક ટુકડો અચાનક નીચે પડ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિનેમા મેનેજમેન્ટે તાત્કાલિક શો રદ કરી દીધો હતો. તમામ પ્રેક્ષકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમની ટિકિટના પૈસા પરત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સિનેમા મેનેજર રાજવીર સિંહે જણાવ્યું હતું કે, ઘટના સમયે ઓડિટોરિયમમાં કોઈ પ્રેક્ષક બેઠેલો નહોતો. સોશિયલ મીડિયા પર ફેલાયેલી ઈજાની અફવાઓને તેમણે નકારી કાઢી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. રાજહંસ મલ્ટીપ્લેક્સના સંચાલકો દ્વારા તૂટી પડેલા ઓડિટોરિયમને રિપેરિંગ કામ માટે અનિશ્ચિત સમય સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. હેડ ઓફિસની સૂચના મુજબ, સમગ્ર સિનેમા હોલનું સેફ્ટી ઓડિટ અને મેન્ટેનન્સ ચેક કરવામાં આવશે. સંપૂર્ણ સુરક્ષાની ખાતરી ન થાય ત્યાં સુધી શો શરૂ કરવામાં આવશે નહીં. ઘટનાની જાણ થતા વલસાડ રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. DySP HQ ભાર્ગવ પંડિયાએ પણ સ્થળ પર મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી માહિતી મેળવી હતી. આ ઘટનાથી સિનેમા હોલની સુરક્ષા અને મેન્ટેનન્સ અંગે પ્રશ્નો ઉભા થયા છે. જોકે, સમયસર લેવાયેલા પગલાં અને પ્રેક્ષકોની ગેરહાજરીને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 1:50 pm

અઢી વર્ષથી ફરાર દુષ્કર્મના આરોપી ઝડપાયો:પંચમહાલ પેરોલ સ્ક્વોડે 'ઓપરેશન કારાવાસ' હેઠળ સુરેન્દ્રનગરથી પકડ્યો

પંચમહાલ-ગોધરા રેન્જની પેરોલ ફ્લો સ્ક્વોડે રાજ્યવ્યાપી 'ઓપરેશન કારાવાસ' અંતર્ગત મોટી સફળતા મેળવી છે. પોલીસે છેલ્લા અઢી વર્ષથી રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર છૂટ્યા બાદ ફરાર થયેલા બળાત્કારના ગુનેગારને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલ આરોપી ખેમાભાઈ નારૂભાઈ કટારા રાજસ્થાનના બાંસવાડા જિલ્લાનો વતની છે. તે અમરેલી જિલ્લાના ધારી પોલીસ મથકમાં નોંધાયેલા બળાત્કારના ગુનામાં 10 વર્ષની સજા ભોગવી રહ્યો હતો. આ કેદી 13 જુલાઈ, 2023ના રોજ રાજકોટ જેલમાંથી પેરોલ રજા પર મુક્ત થયો હતો. જોકે, રજા પૂર્ણ થયા બાદ તે જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો. બાતમી મુજબ, આરોપી હાલ સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે છુપાઈને મજૂરી કામ કરી રહ્યો હતો. આ બાતમીના આધારે પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે તાત્કાલિક દરોડો પાડી ખેમાભાઈ કટારાને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની અટકાયત કરીને તેને બાકીની સજા ભોગવવા માટે પુનઃ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 1:24 pm

ગઢડામાં મતદાર યાદીમાંથી નામ કમી કરવાનું ષડયંત્ર.:ગઢડા નગરપાલિકાના વિપક્ષ નેતાએ મામલતદારને લેખિત રજૂઆત કરી ષડયંત્રખોર સામે કડક કાર્યવાહી કરવા કરી માગ

ગઢડા શહેરમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે. કેટલાક અજાણ્યા શખ્સોએ ફોર્મ નંબર ૭ ભરીને ૧૧૦૦થી વધુ મતદારોના નામ ખોટી માહિતી આપીને મતદાર યાદીમાંથી કમી કરાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ મામલે ગઢડા નગરપાલિકાના વિપક્ષ નેતા મીત ડાંગરે મામલતદારને લેખિત રજૂઆત કરી છે. તેમણે આ કૃત્યને લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર ગણાવી, જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા અને પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરી છે. મીત ડાંગરે જણાવ્યું હતું કે, જો સમયસર યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો સામાન્ય નાગરિકોના મતાધિકાર પર ગંભીર અસર પડી શકે છે. તેમણે પ્રશાસનને આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અપીલ કરી છે. આ રજૂઆત બાદ તંત્ર દ્વારા કેવા પગલાં લેવામાં આવશે તે અંગે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 1:21 pm

પોપટપુર નજીક બે બાઈક વચ્ચે ટક્કર:પંચમહાલના શહેરા ખાતે લગ્ન પ્રસંગમાંથી પરત ફરતાં સાસુ-જમાઈ ઈજાગ્રસ્ત, યુવકની હાલત ગંભીર

પંચમહાલના શહેરા ખાતે લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા સાસુ-જમાઈને પોપટપુર નજીક અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં જમાઈની હાલત નાજુક જણાવાઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સીમલીયા ગામના રહેવાસી સુશીલબેન વણઝારા તેમના જમાઈ અજમલભાઈ વણઝારા સાથે શહેરામાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. લગ્ન પતાવીને તેઓ બાઈક પર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે પોપટપુર ગામ પાસે તેમની બાઈક અને અન્ય એક બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં સુશીલબેનને પગના ભાગે અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે જમાઈ અજમલભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમની હાલત અત્યંત નાજુક બની હતી. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ બંને ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 1:20 pm

હિંમતનગરના ન્યુ મહાવીરનગરમાં 3 મકાનોમાં ચોરી:પાંચ દિવસ પહેલા થયેલી ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા

હિંમતનગરના ન્યુ મહાવીરનગર અને ગણેશ બંગ્લોઝ વિસ્તારમાં પાંચ દિવસ પહેલા રાત્રિના સમયે તસ્કરોએ ચાર બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. આ ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં તસ્કરો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. હિંમતનગર એ-ડિવિઝન પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટના 25 જાન્યુઆરીની રાત્રિના સમયે બની હતી. તસ્કર ટોળકીએ ખેડ તસીયા રોડ પર આવેલા ન્યુ મહાવીરનગરમાં મકાન નંબર 183, 184 અને અન્ય એક મકાનના તાળા તોડ્યા હતા. આ ઉપરાંત, નજીકના ગણેશ બંગ્લોઝમાં પણ એક મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું. ચોરી દરમિયાન, એક મકાનમાંથી રોકડ રકમની ચોરી થઈ હતી, જ્યારે બીજા મકાનમાંથી ચાંદીના છડા અને રોકડ રકમની ઉઠાંતરી કરવામાં આવી હતી. ચોરાયેલા માલમત્તાની ચોક્કસ વિગતો પોલીસ તપાસ બાદ જ સામે આવશે. ચોરીની રાત્રિના સીસીટીવી ફૂટેજમાં તસ્કરો ઘટનાસ્થળેથી જતા જોવા મળ્યા છે. આ ફૂટેજ પોલીસ માટે મહત્ત્વપૂર્ણ પુરાવા બની શકે છે. હિંમતનગર એ-ડિવિઝન પોલીસને જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વધુ તપાસ શરૂ કરી છે. આ વિસ્તારમાં ઉપરાછાપરી ચોરીની ઘટનાઓ બનતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે. સ્થાનિકો દ્વારા પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 1:17 pm

‘ખાખી’ માટે 8 દિવસમાં 1.16 લાખ ઉમેદવારે પરીક્ષા આપી:રાજ્યભરમાં પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં 50,383 ઉતીર્ણ

ગુજરાતના લાખો યુવાનોના ‘ખાખી’ પહેરવાના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને LRD કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે સંપૂર્ણ પારદર્શિતા સાથે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્યના 15 નિર્ધારિત શહેરો અને SRP તાલીમ કેન્દ્રો ખાતે ચાલી રહેલી આ ભરતી પ્રક્રિયામાં 10 લાખથી વધુ ઉમેદવારો પોતાની શારીરિક ક્ષમતા સાબિત કરી રહ્યા છે. પુરુષ ઉમેદવારો માટે 11 ગ્રાઉન્ડ પર 13 માર્ચ, 2026 સુધી અને મહિલા તથા માજી સૈનિકો માટે 4 ગ્રાઉન્ડ પર 6 માર્ચ, 2026 સુધી શારીરિક કસોટીઓ યોજાશે, જે આરોગ્ય વિભાગના નિષ્ણાત તબીબી અધિકારીઓની દેખરેખ હેઠળ લેવાઈ રહી છે. સમગ્ર પ્રક્રિયામાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગઃ નીરજા ગોટરુગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નીરજા ગોટરુએ દાવો કરતા જણાવ્યું હતું કે, આ વખતની ભરતી પ્રક્રિયા ‘સંપૂર્ણ પારદર્શિતા’, ‘ઝીરો એરર’ અને ‘અદ્યતન ટેક્નોલોજી’ના ત્રિવેણી સંગમ રૂપે અમલમાં મુકાઈ છે. ઉમેદવારોની પસંદગી માત્ર તેમની મહેનત અને ક્ષમતાના આધારે થાય તે માટે સમગ્ર પ્રક્રિયામાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે. છેવાડાના વિસ્તારનો યુવાન પણ નિર્ભયપણે પોતાની ક્ષમતાથી પોલીસ સેવામાં જોડાઈ શકે તે ઉદ્દેશ સાથે ભરતી પ્રક્રિયા ડિઝાઇન કરવામાં આવી છે. ‘ગેરરીતિ અટકાવવા દરેક તબક્કે ફિંગરપ્રિન્ટ અને ફેસ રેકગ્નિશન’ શારીરિક કસોટીમાં દરેક સેકન્ડની ચોકસાઈ જળવાઈ રહે તે માટે ઉમેદવારોના પગમાં RFID ચિપ લગાવવામાં આવી છે, જેના માધ્યમથી દોડનો સમય ઓટોમેટિક સિસ્ટમમાં નોંધાય છે અને પરિણામ સ્થળ પર જ ઉમેદવારને જાણવા મળે છે. કોઈ પણ ગેરરીતિ અટકાવવા માટે દરેક તબક્કે ફિંગરપ્રિન્ટ અને ફેસ રેકગ્નિશન આધારિત બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે, જ્યારે સમગ્ર ગ્રાઉન્ડ અને તમામ તબક્કાઓ CCTV સર્વેલન્સ હેઠળ રાખવામાં આવ્યા છે. ‘માપણીમાં ઉમેદવારને અસંતોષ થાય તો નિવારણ માટે સ્થળ પર જ અપીલ બોર્ડ’ ઉમેદવારોની ઊંચાઈ અને છાતીની માપણી ડિજિટલ સાધનો દ્વારા કરવામાં આવે છે અને માપણી દરમિયાન લેવાયેલો ફોટો તરત જ કમ્પ્યુટર સ્ક્રીન પર ઉમેદવારને બતાવવામાં આવે છે, જેથી પારદર્શિતા જળવાય. જો કોઈ ઉમેદવારને માપણી કે પ્રક્રિયા અંગે અસંતોષ હોય તો તેના નિવારણ માટે સ્થળ પર જ અપીલ બોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અપીલ બોર્ડમાં SP કક્ષાના અધિકારી, મેડિકલ ઓફિસર સહિત ચાર સભ્યો હાજર રહી પુનઃચકાસણી કરે છે. ‘ગ્રાઉન્ડ ઇન્ચાર્જ તરીકે DIGP અથવા SP કક્ષાના અધિકારીઓ નિયુક્ત’ઉમેદવારોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક ગ્રાઉન્ડ પર પીવાનું પાણી, ORS, 108 એમ્બ્યુલન્સ તથા મેડિકલ ટીમની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર ભરતી પ્રક્રિયા પર ચુસ્ત દેખરેખ માટે દરેક ગ્રાઉન્ડના ઇન્ચાર્જ તરીકે DIGP અથવા SP કક્ષાના અધિકારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ઉચ્ચ સ્તરે સુપરવિઝન માટે DIGP/IGP કક્ષાના અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. 22થી 29 જાન્યુઆરી દરમિયાન 1,87,874 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી 1,16,075 ઉમેદવારોએ શારીરિક કસોટી આપી હતી અને તે પૈકી 50,383 ઉમેદવારો ઉતીર્ણ થયા છે. ટેક્નોલોજી આધારિત આ સંપૂર્ણ પારદર્શક વ્યવસ્થાએ ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયા પ્રત્યે યુવાનોનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 1:10 pm

UGCના નવા નિયમો સામે સવર્ણ સમાજનો વિરોધ:પાટણમાં કલેક્ટરને આવેદન: જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓના અન્યાય મુદ્દે ઉગ્ર રજૂઆત

પાટણ: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા તાજેતરમાં અમલમાં મૂકવામાં આવેલા 'પ્રમોશન ઓફ ઈક્વિટી ઈન હાયર એજ્યુકેશન્સ ઈન્સ્ટીટ્યુશન્સ રેગ્યુલેશન, 2026' સામે સવર્ણ સમાજે વિરોધ નોંધાવ્યો છે. આ નિયમો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓની અવગણના કરતા હોવાના આક્ષેપ સાથે પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સવર્ણ સમાજ દ્વારા વ્યક્ત કરાયેલી ભીતિ મુજબ, આ નવા નિયમોથી સવર્ણ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતોને નુકસાન પહોંચશે. UGC દ્વારા 13 જાન્યુઆરી 2026ના રોજ જાહેર કરાયેલા આ નિયમો સામે આવેદનપત્રમાં મુખ્યત્વે બે મુદ્દાઓ પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, રેગ્યુલેશન 3(c) હેઠળ જાતિ આધારિત ભેદભાવની જે વ્યાખ્યા આપવામાં આવી છે, તેમાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને રક્ષણ મળતું નથી. આ બાબત ભારતીય બંધારણના અનુચ્છેદ 14 અને 15 મુજબના સમાનતાના અધિકાર વિરુદ્ધ છે. વધુમાં, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં બનનારા 'ઈક્વલ ઓપોર્ચ્યુનિટી સેન્ટર' માં પણ જનરલ કેટેગરીના પ્રતિનિધિત્વ માટે કોઈ જોગવાઈ ન હોવાથી પક્ષપાત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સમાજ દ્વારા સૌથી મોટો વિરોધ ખોટી ફરિયાદ અંગેની જોગવાઈઓને લઈને કરવામાં આવ્યો છે. આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે અગાઉના ડ્રાફ્ટમાં ખોટી ફરિયાદ કરનાર સામે સજાની જોગવાઈ હતી, જે અંતિમ નિયમોમાંથી દૂર કરવામાં આવી છે. આના કારણે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ, ખાસ કરીને વિદ્યાર્થિનીઓ સામે ખોટા આક્ષેપો કરીને તેમને માનસિક રીતે હેરાન કરવામાં આવે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. આવેદનપત્ર દ્વારા સવર્ણ સમાજે માંગ કરી છે કે આ નિયમોમાં સુધારો કરીને જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને પણ સમાન રક્ષણ મળે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે. ઈક્વિટી કમિટીમાં જનરલ કેટેગરીના પ્રતિનિધિઓનો સમાવેશ કરવાની અને ખોટી ફરિયાદ કરનાર સામે કડક કાર્યવાહીની જોગવાઈ પુનઃસ્થાપિત કરવાની પણ માંગ કરવામાં આવી છે. સવર્ણ સમાજે પાટણ જિલ્લા કલેક્ટર મારફતે રજૂઆત કરી છે કે તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે ચર્ચા કર્યા બાદ જ આ નિયમોનો અમલ કરવામાં આવે, જેથી કોઈ પણ સમુદાયના વિદ્યાર્થીઓના હિતોને નુકસાન ન થાય.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 12:58 pm

જામનગર નજીક ચાલુ કારમાં લાગી આગ:ખીજડીયા બાયપાસ પાસે અમદાવાદ પાસિંગની કાર બળીને ખાખ, ચાર લોકોનો આબાદ બચાવ

જામનગર નજીક ખીજડીયા બાયપાસ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી GJ-01-HK-7161 નંબરની એક કારમાં ગઈકાલે સાંજે અકસ્માતે આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આ કારમાં તેના માલિક ભીમશીભાઈ ગોજીયા સહિત કુલ ચાર વ્યક્તિઓ સવાર હતા. કારમાં શોર્ટ સર્કિટ થતાં જ તેઓ તાત્કાલિક કારમાંથી બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી અને તમામ લોકો સુરક્ષિત રહ્યા હતા. કાર અગનગોળામાં ફેરવાઈ જતાં આસપાસના વાહનચાલકો થંભી ગયા હતા અને ઘટનાસ્થળે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે, આગ કાબુમાં આવે તે પહેલાં જ કારને ઘણું નુકસાન થઈ ચૂક્યું હતું. પ્રાથમિક અનુમાન મુજબ, ઇલેક્ટ્રિક વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 12:52 pm

અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઇટનું ઇમર્જન્સી લેન્ડિંગ:કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટમાં ટીશ્યુ પેપર પર હાઇજેક અને બૉમ્બ હોવાની ધમકી મળી, સઘન ચેકિંગ

અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઇટનું ઇમજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. કુવૈતથી દિલ્હી જતી આ ફ્લાઈટમાં બૉમ્બ હોવાની ધમકી મળી હતી. જેને પગલે ફ્લાઇટમાં સવાર 180 પેસેન્જર અને લગેજનું ચેકિંગ કરવામાં આવ્યું છે. કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટીશ્યુ પેપર પર હાઈજેક અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી લખેલી ચિઠ્ઠી મળી આવતા પ્લેનનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. એરપોર્ટના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, અત્યારે દરેક પેસેન્જરનું ચેકીંગ થઈ રહ્યું છે. દરેક પેસેન્જરના સમાનનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી પેસેન્જર પાસેથી કોઇપણ જાતની શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. ત્યારબાદ એટલે કે ફ્લાઇટને ટેક ઓફ થવામાં હજી પણ અંદાજિત 2 કલાક જેટલો સમય લાગી શકે છે. હાલમાં પ્લેનમાં ચેકીંગની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. પરંતુ પેસેન્જર્સનું ચેકીંગ અને તેમના બગેજનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. પ્લેનનું સંપૂર્ણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુંએરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.ડી.નકુમે જણાવ્યું હતું કે, ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને BDDS દ્વારા પ્લેનનું સંપૂર્ણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. હાલમાં પ્લેન ચેક કરવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને પ્રોટોકોલ મુજબ આગળની તપાસ ચાલુ છે. 18 ડિસેમ્બરે ગોવાથી અમદાવાદ આવતી ઇન્ડિગો ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી18 ડિસેમ્બર, 2025ના રોજ ગોવાથી અમદાવાદ આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 6208ને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી. ફ્લાઈટ અમદાવાદ પહોંચતા ફ્લાઈટમાંથી એક ટીશ્યુ પેપર મળી આવ્યું હતું. જેમાં આ ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે તેવી ધમકી ભર્યું લખાણ લખ્યું હતું. આ અંગે એરલાઈન્સ દ્વારા એરપોર્ટ ઓથોરિટીને જાણ કરવામાં આવતા CISF અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ફ્લાઈટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ગોવાથી અમદાવાદ આવતી ઇન્ડિગોની ફ્લાઈટમાં 140થી વધુ પેસેન્જર્સ બેઠેલા હતા. તમામ પેસેન્જરનું બોર્ડિંગ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ પણ એરપોર્ટ પહોંચી હતી. ફ્લાઈટમાં કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. સ્કૂલ, જેલ અને ગાંધી આશ્રમને બોમ્બથી ઉડાવાની ધમકી મામલે ફરિયાદઅમદાવાદમાં 17 ડિસેમ્બરના રોજ સ્કૂલ, સાબરમતી સેન્ટ્રલ જેલ અને ગાંધી આશ્રમને ઇ-મેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. જે મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાયબર ક્રાઈમ દ્વારા આ અંગે તપાસ કરતા આ ઇ-મેલ બે હોટમેલ અને એક એટોમિક ઇ-મેલ દ્વારા મળ્યો હતો. આ તમામ હોક્સ મેલ હોવાની સાયબર ક્રાઈમે પુષ્ટિ કરી હતી. વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીવડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ મળતા જ દોડધામ મચી ગઈ હતી. ઈ-મેલમાં લખવામાં આવ્યું છે કે, '1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરાવી દેજો, નહીં તો બોમ્બથી ઉડાવી દઈશું.' આ ગંભીર ઘટનાને પગલે અકોટા પોલીસ, એસ.ઓ.જી., ક્રાઈમ બ્રાન્ચ અને બોમ્બ તથા ડોગ સ્ક્વોડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી અરજદારોનો પ્રવેશ બંધ કરાવી ત્રણ કલાક સુધી સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અંતે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો અને કલેક્ટર કચેરીની કામગીરી ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 17 ડિસેમ્બર: અમદાવાદની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, અમિત શાહ-લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરાશેઅમદાવાદ, ગાંધીનગર, કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઝેબર, ઝાયડસ, અગ્રસેન અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 26 જેટલી સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. ધમકી મળતા જ સ્કૂલોમાં તપાસ શરૂ કરાઈ હતી. પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ-ડોગ સ્કવોડની ટીમ દ્વારા સ્કૂલોમાં તપાસ કરાઈ હતી. તમામ સ્કૂલોમાં તપાસ પૂર્ણ કરાઈ છે અને કોઈપણ સ્કૂલમાંથી સંદિગ્ધ વસ્તુ મળી નથી. ઉલ્લેખનીય છે કે ધમકીને લઈને અમદાવાદની કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 12:42 pm

જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનું ટીઝર રિલીઝ:રવેડીનો રૂટ 500 મીટર વધારાયો, 29 હજારથી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે; 5 દિવસીય મેળાને લઈ ગાંધીનગરમાં બેઠક

મહાશિવરાત્રિના પાવન અવસરે જૂનાગઢના ભવનાથ ખાતે યોજાનાર દેશના સૌથી મોટા મેળાને લઈને રાજ્ય સરકારે વિશાળ સ્તરે તૈયારી શરૂ કરી છે. આજરોજ (30 જાન્યુઆરી) નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ગાંધીગનરમાં સાધુ-સંતો, મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રની બેઠક મળી હતી. આ બેઠકમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા, સુવિધા, વ્યવસ્થાઓ સહિતના પાસાઓને વધુ મજબૂત બનાવવા ચર્ચા કરવામાં આવી હતી. આ વર્ષના મેળામાં રવેડીનો રૂટ 500 મીટર વધારવામાં આવ્યો છે. પાંચ દિવસીય મેળામાં 29 હજારથી વધુ પોલીસકર્મીઓ ખડેરગે રહેશે. CCTVની મદદથી શ્રદ્ધાળુઓની સુરક્ષા પર વધુ ધ્યાન રખાશેદર વર્ષે શિવરાત્રિના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ભવનાથ મહાદેવના દર્શન માટે આવે છે. આ વર્ષે પણ 11થી 15 ફેબ્રુઆરી સુધી ચાલનારા શિવરાત્રિ મેળામાં રાજ્ય તેમજ દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટે તેવી શક્યતા છે. મેળામાં પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ, વીજ પુરવઠો, સ્વચ્છતા અને ટ્રાફિક નિયંત્રણ સહિતની તમામ સુવિધાઓ સરકાર દ્વારા તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને 29 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. પોલીસ સાથે સ્થાનિક યુવાનોને પણ જોડવામાં આવશે. સમગ્ર મેળા વિસ્તારમાં સીસીટીવી નેટવર્ક દ્વારા સતત નજર રાખવામાં આવશે, તેમજ શ્રદ્ધાળુઓ માટે ઉતારાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 300 જેટલી સામાજિક સંસ્થાઓ ભોજન-ઉતારાની વ્યવસ્થામાં જોડાશેમેળામાં સામાજિક સંસ્થાઓનો પણ મહત્વનો સહયોગ રહેશે. અંદાજે 300 જેટલી સામાજિક સંસ્થાઓ ભોજન અને ઉતારાની વ્યવસ્થામાં જોડાશે. આ ઉપરાંત, આગામી 11 ફેબ્રુઆરીના રોજ સાધુ-સંતો અને મહંતોની ભવ્ય નગરયાત્રા યોજાશે. તમામ સાધુસંતોનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ નગરયાત્રામાં વિશેષ ઉપસ્થિત રહેશે. બેઠકમાં ઈન્દ્રભારતીબાપુ સહિતના સાધુ-સંતો હાજર રહ્યાંઆજે ગાંધીનગરમાં યોજાયેલી સંકલન બેઠકમાં અધિકારીઓએ મેળાને યાદગાર અને અદ્ભુત બનાવવા માટેની વ્યવસ્થાઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. ભવનાથના દર્શન માટે રાજ્યભરમાંથી અસંખ્ય શ્રદ્ધાળુઓ જોડાશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. આજની બેઠકમાં ઈન્દ્રભારતીબાપુ સહિતના સાધુ-સંતો હાજર રહ્યાં હતાં.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 12:42 pm

દર્શન નાયકનો ફૂલ બજારમાં હપ્તાખોરીનો આક્ષેપ:વિક્રેતાઓએ કહ્યું, માહિતી તદ્દન ખોટી અને પાયાવિહોણી, વિરોધ કરીને તપાસની માંગ કરી

સુરત શહેરના અશ્વનિકુમાર વિસ્તારમાં આવેલા ફૂલ બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વિવાદ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દર્શન નાયક દ્વારા ફૂલ બજારની કામગીરી અને ત્યાં ચાલતી પ્રવૃત્તિઓ સામે સવાલો ઉઠાવવામાં આવતા મામલો ગરમાયો છે. દર્શન નાયકે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને પોલીસ કમિશનરને એક પત્ર લખીને આ બજારમાં મોટા પાયે 'હપ્તાખોરી' ચાલતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે આ બાબતે નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી કરી હતી, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. વિક્રેતાઓએ કહ્યું માહિતી તદ્દન ખોટી અને પાયાવિહોણીજોકે, કોંગ્રેસ નેતાના આ આક્ષેપો બાદ ફૂલ બજારના વિક્રેતાઓ અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે મોટી સંખ્યામાં એકઠા થયેલા ફૂલ વિક્રેતાઓએ દર્શન નાયક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિક્રેતાઓનો સ્પષ્ટ આરોપ છે કે દર્શન નાયક દ્વારા ફેલાવવામાં આવી રહેલી માહિતી તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. વેપારીઓએ 'હાય હાય' ના નારા લગાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે આવા ખોટા આક્ષેપોથી વર્ષોથી પ્રમાણિકતાથી ધંધો કરતા નાના વેપારીઓની છબી ખરડાઈ રહી છે. 'બજારમાં કોઈ પણ પ્રકારની હપ્તાખોરી ચાલતી નથી'ફૂલ બજારના સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે રાજકીય રોટલા શેકવા માટે બજારને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. વેપારીઓએ જણાવ્યું કે બજારમાં કોઈ પણ પ્રકારની હપ્તાખોરી ચાલતી નથી. તપાસના બહાને ફૂલ વિક્રેતાઓને હેરાન-પરેશાન કરવામાં ન આવે તેવી સખત માંગ કરવામાં આવી છે. જો ખરેખર કોઈ ગેરરીતિ હોય તો પુરાવા રજૂ કરવામાં આવે, માત્ર અફવાઓ ફેલાવીને બજારનું વાતાવરણ ન બગાડવામાં આવે. 'એ બધી અફવા છે, એ બધું ખોટું છે'વેપારી ઉપેન્દ્રકુમાર સિંહએ જણાવ્યું હતું કે, હું આ માર્કેટમાં 20 વર્ષથી ધંધો કરી રહ્યો છું અને અમે બધા વેપારીઓ હળીમળીને સુચારુ રીતે ધંધો કરીએ છીએ. કોઈ પોલીસ પ્રશાસન કે મ્યુનિસિપલ કોર્પોરેશનનો કોઈ વિરોધ નથી. અમે લોકો ટ્રાફિકની દરેક બાબતનું ધ્યાન રાખીને સવારથી બપોર સુધી પોતાનો ધંધો કરીને પોતપોતાના ઘરે જઈએ છીએ. બાકી કોઈ હપ્તાખોરી નથી, કોઈ વસૂલાત નથી, અમે કોઈને કોઈ લેણ-દેણ કરતા નથી કે નથી કોઈ આવું કંઈ લાગતું. અને જે કંઈ પણ મીડિયામાં છે, એ બધી અફવા છે, એ બધું ખોટું છે. 'પચાસ વર્ષ - વીસ વર્ષથી અમે અહીં ધંધો કરી રહ્યા છીએ'વેપારી ગોરખ શાંતારામ કલાણેએ જણાવ્યું હતું કે, વિરોધ પ્રદર્શન એવું છે કે અમારી માર્કેટ પર જે પણ આરોપો લાગ્યા છે તે બધા ખોટા છે. અમારી માર્કેટમાં કોઈ ઉઘરાણી થતી નથી, કોઈ... શું કહેવાય એને... હા, કોઈ પૈસા-બૈસાની ઉઘરાણી કરતું નથી. ફક્ત મ્યુનિસિપાલિટી વાળા જે વીસ રૂપિયા સાફ-સફાઈના લે છે, એ જ અમારી પાસેથી લે છે, એના સિવાય અમે કોઈ બીજા પૈસા આપતા નથી. પચાસ વર્ષ - વીસ વર્ષથી અમે અહીં ધંધો કરી રહ્યા છીએ સાહેબ, અને અહીં સુખ-શાંતિથી જીવી રહ્યા છીએ અને સુખ-શાંતિથી કમાઈને ખાઈ રહ્યા છીએ.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 12:41 pm

જામનગરમાં મકરાણી સમાજના પ્રમુખ પર હુમલો:પગમાં ટાંકા લેવા પડ્યા, મકાન ખાલી કરવાના પ્રશ્ને ચાર શખસ સામે પોલીસ ફરિયાદ

જામનગરમાં મકરાણી સમાજના પ્રમુખ જાનમામદ મોહમ્મદભાઈ બ્લોચ પર ગઈકાલે હુમલો થયો હતો. મકાન ખાલી કરવાના પ્રશ્ને ચાર શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. 56 વર્ષીય જાનમામદભાઈ બ્લોચને હવાઈ ચોક વિસ્તારમાં સહેજાદ સલીમભાઈ બલોચ, સાહિલ સલીમભાઈ અને તેમના અન્ય બે સાગરિતોએ નિશાન બનાવ્યા હતા. હુમલા બાદ તેમને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમના પગમાં ટાંકા લેવા પડ્યા હતા અને તેઓ હાલ સારવાર હેઠળ છે. આ બનાવની જાણ થતા જ સીટી એ ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે જાનમામદભાઈ બ્લોચની ફરિયાદના આધારે હુમલો કરનાર ચારેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે ફરિયાદી જે મકાનમાં ભાડેથી રહેતા હતા, તેના માલિક સહેજાદ બ્લોચ અને અન્ય ત્રણ શખ્સોએ ભાડાના પ્રશ્ને તકરાર કરી માર માર્યો હતો. આરોપીઓ હાલ ફરાર હોવાથી પોલીસ તેમને શોધી રહી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 12:38 pm

વલસાડ પોલીસે ગુંદલાવ હાઇવે પરથી દારૂ ઝડપ્યો:4668 બોટલ વિદેશી દારૂ સાથે કન્ટેનર ચાલક પકડાયો, ₹32.99 લાખનો મુદ્દામાલ જપ્ત

વલસાડ રૂરલ પોલીસે ગુંદલાવ હાઇવે પરથી દમણથી વડોદરા તરફ લઈ જવાઈ રહેલા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક કન્ટેનરમાંથી 4,668 બોટલ વિદેશી દારૂ સાથે કન્ટેનર ચાલકની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂ. 32.99 લાખ આંકવામાં આવી છે. વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશન ગુનાઓ સામે હાથ ધરાયેલી સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. પીએસઆઈ આર.પી. ડોડીયા અને તેમની ટીમને ખાનગી બાતમી મળી હતી કે દમણથી સુરત માર્ગે વિદેશી દારૂની હેરાફેરી થવાની છે. આ બાતમીના આધારે ગત રાત્રીએ ગુંદલાવ ઓવરબ્રિજ નજીક નેશનલ હાઇવે 48 પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ કન્ટેનર નંબર HR-46-G-1641ને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી. કન્ટેનરની ડ્રાયવર કેબિનમાં બનાવેલા ચોરખાનામાંથી વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂ અને ટીન બીયરની કુલ 4,668 બોટલ મળી આવી હતી. આ દારૂ કંપનીના શીલબંધ સીલ અને લેબલ સાથે પેક થયેલો હતો. પોલીસે રૂ. 16.90 લાખનો વિદેશી દારૂ, રૂ. 16 લાખ કિંમતનું કન્ટેનર, એક મોબાઈલ ફોન અને રોકડા મળી કુલ રૂ. 32.99 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા કન્ટેનર ચાલકે પોતાનું નામ વિષ્ણુકુમાર પુરનસિંહ ચૌહાણ (ઉંમર 30, રહે. ઉત્તર પ્રદેશ) જણાવ્યું છે. આ મામલે વલસાડ રૂરલ પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ), 82, 98(2) અને 116(ખ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દારૂ મોકલનાર અને આપનાર ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ વધુ તીવ્ર બનાવી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 12:36 pm

પાટણ હર્ષ પરમાર હત્યા કેસમાં આરોપીઓને સજા:યુવરાજ વાવડીયાને આજીવન કેદ અને તેના પિતાને 6 માસની સજા, ડિસ્ટ્રિક્ટ કોર્ટનો ચુકાદો

પાટણના ચકચારી હર્ષ પરમાર હત્યા કેસમાં કોર્ટે મુખ્ય આરોપી યુવરાજ વાવડીયાને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં આરોપીના પિતાને પણ મારપીટના ગુનામાં 6 માસની કેદ અને દંડનો હુકમ કરવામાં આવ્યો છે. આ ચુકાદો પાટણના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ પ્રશાંત એચ. શેઠે આપ્યો છે. પાટણ શહેરના નિર્મળનગર રોડ પર નવેમ્બર 2023માં નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં હર્ષકુમાર પરમારની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં જજ પ્રશાંત એચ. શેઠે મુખ્ય આરોપી યુવરાજ અરવિંદભાઈ વાવડીયા (ઉ.વ. 21) ને આઈપીસી કલમ 302 હેઠળ દોષિત ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી છે. કોર્ટે તેને ₹25,000નો દંડ પણ ફટકાર્યો છે, જે ન ભરવા પર વધુ 6 માસની સાદી કેદ ભોગવવી પડશે. આ ઉપરાંત, આરોપીના પિતા અરવિંદભાઈ ડુંગરભાઈ વાવડીયા (ઉ.વ. 40) ને આઈપીસી કલમ 323 હેઠળ દોષિત ઠેરવી 6 માસની સાદી કેદ અને ₹500ના દંડની સજા કરવામાં આવી છે. ઘટના 7 નવેમ્બર, 2023ના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ નિર્મળનગર રોડ પર બની હતી. મૃતક હર્ષ પરમાર તેના મિત્રો સાથે ચામુંડા પાર્લર પાસે બેઠો હતો. તે સમયે ત્યાં ઉભેલા એક સગીરને હર્ષનો હાથ અડી જતાં તેમની વચ્ચે ઝઘડો થયો હતો. સગીરે આ બાબતે તેના પિતાને ફોન કરીને બોલાવ્યા હતા. આરોપી અરવિંદભાઈ અને તેમની પત્ની બાઇક પર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઝઘડા દરમિયાન સગીરે હર્ષને માર માર્યો હતો. ત્યારબાદ સગીરનો મોટો ભાઈ યુવરાજ છરો લઈને ત્યાં આવ્યો હતો અને તેણે હર્ષ પર છરાના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા હર્ષને હોસ્પિટલ ખસેડવામાં આવતા તેને મૃત જાહેર કરાયો હતો. આ દરમિયાન વચ્ચે પડેલા મિત્ર જયદીપને પણ ઈજાઓ પહોંચી હતી. પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ગુના અંગે આરોપી યુવરાજ, તેના પિતા અને સગીર ભાઈ વિરુદ્ધ આઈપીસી કલમ 302, 114 અને જી.પી. એક્ટ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. સરકારી વકીલ રાજેન્દ્ર પી. રાવલની દલીલો અને પુરાવાઓને કોર્ટે ગ્રાહ્ય રાખ્યા હતા. આ કેસમાં સંડોવાયેલા સગીર આરોપી સામેનો કેસ હાલમાં પાટણ જ્યુવેનાઈલ જસ્ટિસ બોર્ડમાં વિચારાધીન છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 12:28 pm

ભરૂચમાં ચોરાયેલ એક્ટિવા સાથે ચોર ઝડપાયો:કસક સર્કલ પાસેથી ગણતરીના કલાકોમાં સી-ડિવિઝન પોલીસે પકડ્યો.

ભરૂચ શહેરના કસક સર્કલ વિસ્તારમાંથી ચોરાયેલ એક્ટિવા મોપેડ સાથે એક ઈસમને ભરૂચ શહેર સી-ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા વિવેક વિનોદચંદ્ર રાવલે સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, 27 જાન્યુઆરીના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 7:30 વાગ્યા દરમિયાન કસક સર્કલ પાસે વોડાફોન ઓફિસ સામે પાર્ક કરેલ તેમની એક્ટિવા મોપેડ (નંબર GJ-16-BC-5382) કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ચોરી કરવામાં આવી હતી. ફરિયાદના આધારે, સી-ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. ચૌધરીએ સર્વેલન્સ ટીમો રચી હતી. રાજ્ય સરકારની VISWAS CCTV સિસ્ટમ અને ખાનગી બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, 29 જાન્યુઆરીના રોજ શીતલ સર્કલ ખાતે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે ઉપરોક્ત નંબરની એક્ટિવા લઈને પસાર થતા એક શંકાસ્પદ ઈસમને અટકાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન, મોપેડની આર.સી. બુક ન હોવા અને ઇ-ગુજકોપ એપમાં વાહન ચોરીનું હોવાનું ખુલતા વધુ તપાસ કરાઈ હતી. આરોપી ગૌતમ કેશવભાઈ જાદવે કસક સર્કલ પાસે વોડાફોન ઓફિસ સામેથી મોપેડ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે રૂ. 30,000 ની કિંમતનું ચોરાયેલું એક્ટિવા મોપેડ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ગૌતમ કેશવભાઈ જાદવ વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબિશન અને ચોરીના ગુનાઓ નોંધાયેલા છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 12:24 pm

મોરબીના જય ઓરિયાએ બનાવ્યા બે વર્લ્ડ રેકોર્ડ:75% દિવ્યાંગતા હોવા છતાં અમરનાથ, કેદારનાથ યાત્રા પૂર્ણ કરી

મોરબીના મનોદિવ્યાંગ બાળક જય ઓરિયાએ 75% દિવ્યાંગતા હોવા છતાં બે વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યા છે. માતા-પિતાની યોગ્ય કેળવણી અને કાળજીને કારણે તેણે જીવનમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. જયે શારીરિક તંદુરસ્તી અને આત્મવિશ્વાસ સાથે આ રેકોર્ડ બનાવ્યા છે. વર્ષ 2025માં, જય ઓરિયાએ પહેલગામથી બાલતાલના કઠિન અમરનાથ યાત્રા માર્ગ પર દિવ્યાંગ તરીકે મેડિકલ ફિટનેસ પાસ કરી યાત્રાની મંજૂરી મેળવી હતી. તેણે પોતાના પિતા સાથે આ દુર્ગમ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરીને મનોદિવ્યાંગ બાળક તરીકે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી મોરબીનું ગૌરવ વધાર્યું છે. જય ઓરિયાએ 2024માં કેદારનાથ યાત્રા અને 2025માં અમરનાથ યાત્રા પૂર્ણ કરીને દિવ્યાંગ બાળક તરીકે બે રેકોર્ડ બનાવ્યા છે. તેણે રાષ્ટ્રીય સ્તરે પોતાની વિશિષ્ટ પ્રતિભા માટે અનેક પુરસ્કારો પણ મેળવ્યા છે. હવે તેનો આગામી લક્ષ્ય હિમાલય બેઝ કેમ્પ સર કરવાનો છે. જય ઓરિયા બોલી શકતો ન હોવા છતાં તેનો વિશાળ મિત્રવર્ગ છે. તે અન્ય મનોદિવ્યાંગ બાળકો માટે પ્રેરણારૂપ બન્યો છે. જો દિવ્યાંગ બાળકોને યોગ્ય સહાય અને માતા-પિતાનો સહયોગ મળે, તો તેમની પ્રગતિ શક્ય બની શકે છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 12:11 pm

મોરારિબાપુની વાણી 'શિક્ષણ યજ્ઞ'ને અર્પણ:18 રાજ્યોમાં કાર્યરત 'માતુ કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટ'ના 351 સરસ્વતીધામ સંકલ્પને મળશે રામકથાનું પીઠબળ

ભારતભરમાં સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશ ફેલાવનાર મોરારિબાપુએ છેવાડાના માનવીના કલ્યાણ માટે વધુ એક ઉમદા પગલું ભર્યું છે. માતુ કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતભરમાં ચાલી રહેલા 'શિક્ષણ યજ્ઞ' થી પ્રભાવિત થઈને બાપુએ આ સેવાકાર્યના લાભાર્થે રામકથા અર્પણ કરવાની જાહેરાત કરી છે. વિશેષ વાત એ છે કે, આ કથાના યજમાન પણ સ્વયં બાપુ જ બનશે અને ભારતભરમાં કોઈપણ સ્થળે આ કથા યોજવા માટે તેમણે સહર્ષ સંમતિ આપી છે. 351 સરસ્વતીધામ નિર્માણનો ભવ્ય સંકલ્પ કેશુભાઈ ગોટીના નેતૃત્વમાં ટ્રસ્ટ દ્વારા ભારત દેશને મજબૂત બનાવવા અને અંતરિયાળ વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિના જતન માટે શિક્ષણની જ્યોત જગાવવામાં આવી છે. ટ્રસ્ટનો મુખ્ય લક્ષ્યાંક 351 સરસ્વતીધામ બનાવવાનો છે, જેમાંથી 246 શાળાઓનું નિર્માણ થઈ ચૂક્યું છે અને 48 કાર્યરત છે. ભાવનગરના મહુવા તાલુકાના ડુંડાસ મુકામે 228મા સરસ્વતીધામ ‘માતુ કડવીબહેન રામજીભાઈ નકુમ’ ના લોકાર્પણ પ્રસંગે મોરારિબાપુએ ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી. અરુણભાઈ દવેની પ્રેરણાથી જ્યારે આ કાર્યને અવિરત રાખવા વિનંતી કરવામાં આવી, ત્યારે બાપુએ પ્રસન્નતાપૂર્વક રામકથારૂપી આશીર્વાદ આપ્યા હતા. 18 રાજ્યોમાં ફેલાયેલું સેવાકીય નેટવર્ક આ ટ્રસ્ટ માત્ર ગુજરાત પૂરતું મર્યાદિત નથી, પરંતુ ભારતનાં 18 રાજ્યોમાં ફેલાયેલું છે. રાજ્યવાર નિર્માણ પામેલા અને નિર્માણાધીન સરસ્વતીધામની વિગતો નીચે મુજબ છે: ગુજરાત: 190 આસામ: 20 ઝારખંડ: 16 મધ્યપ્રદેશ: 12 ઓરિસ્સા, બિહાર: 7-7 ઉત્તરાખંડ: 6 ત્રિપુરા: 5 નાગાલેન્ડ, અરુણાચલપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ: 4-4 છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મણિપુર: 3-3 મેઘાલય: 2 અને મિઝોરમ: 1 ચતુર્વિધ સેવાકીય પ્રકલ્પો ટ્રસ્ટ હાલ મુખ્ય ચાર અભિયાન પર કાર્ય કરી રહ્યું છે. પ્રથમ, ‘351 સરસ્વતીધામ’ નિર્માણ. બીજું, ‘વૈચારિક ક્રાંતિ અભિયાન’ જે અંતર્ગત અત્યાર સુધીમાં 108 થી વધુ પરિસંવાદો દ્વારા 45,000 વિદ્યાર્થીઓ અને 8,000 શિક્ષકોમાં ગુણાત્મક પરિવર્તન લાવવામાં આવ્યું છે. ત્રીજું, ‘શિક્ષા સાથી અભિયાન’ જેમાં 115 થી વધુ સ્થળોએ કરોડો રૂપિયાના ખર્ચે પ્રાર્થનાખંડ અને શૈક્ષણિક સામગ્રી પહોંચાડવામાં આવી છે. ચોથું, ‘કુપોષણ મુક્તિ અભિયાન’ દ્વારા 40,000 થી વધુ બાળકોને પૌષ્ટિક નાસ્તો પૂરો પાડવામાં આવે છે. નિ:સ્વાર્થ કર્મયોગીઓનું અદભૂત મોડેલ આ પ્રોજેક્ટની સફળતા પાછળ 40 થી વધુ કર્મયોગીઓની 5 ટીમો કાર્યરત છે. આ ટીમો સુરતથી 2,000-3,000 કિમી દૂર દુર્ગમ પહાડી વિસ્તારોમાં રહીને બાંધકામની દેખરેખ રાખે છે. તેમની મહેનતને કારણે જે ભવનનો ખર્ચ 1 કરોડ રૂપિયા થતો હોય, તે માત્ર 70-80 લાખમાં તૈયાર થાય છે. અહીં ઉલ્લેખનીય છે કે મુખ્ય દાતા કેશુભાઈ ગોટી પોતાનું નામ ક્યાંય લખાવતા નથી, માત્ર સહયોગી દાતાઓના નામ જ તખ્તી પર અંકિત કરવામાં આવે છે. સંસ્કૃતિનું સંરક્ષણ અને રાષ્ટ્ર નિર્માણ ગુજરાત બહારના આદિવાસી વિસ્તારોમાં જ્યાં સંસ્કૃતિનું ધોવાણ થઈ રહ્યું છે, ત્યાં આ સરસ્વતીધામો ભારતીયતાનો સંદેશ ફેલાવી રહ્યા છે. કેશુભાઈ જણાવે છે કે તેમનો સંકલ્પ માત્ર 9 શાળાઓનો હતો, પરંતુ આજે 330 જેટલા દાતાઓના સહયોગથી આ કાર્ય વિરાટ બન્યું છે. મોરારિબાપુની રામકથા મળતા હવે આ શિક્ષણ યજ્ઞમાં નવું જોમ આવ્યું છે, જે આગામી સમયમાં ભારતના તમામ રાજ્યો સુધી પહોંચશે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 12:06 pm

ગજેરા બંધુ અને બગદાણાને ત્યાં 72 કલાકથી ITની તપાસ:જમીન લે-વેચમાં બેનામી વ્યવહારોની આશંકા, ધીરુ ગજેરાનું રેડ અંગે અજાણ હોવાનું રટણ અને સવાલ કરતાં ગાડી લઈને ભાગ્યા

સુરતના ગજેરા બંધુઓના લક્ષ્મી ગ્રુપ અને બિલ્ડર લોબી સાથે સંકળાયેલા અનિલ બગદાણાના ત્યાં ઇન્કમટેક્સ વિભાગની DDI વિંગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ આજે ત્રીજા દિવસે પણ યથાવત રહી છે. વહેલી સવારથી જ આઈટી અધિકારીઓ ગજેરા બંધુઓની ઓફિસ અને નિવાસસ્થાને પહોંચી ગયા હતા. સતત 72 કલાકથી ચાલી રહેલી આ તપાસને પગલે શહેરના રિયલ એસ્ટેટ અને હીરા ઉદ્યોગમાં ફફડાટ વ્યાપી ગયો છે. જમીન લે-વેચમાં બેનામી વ્યવહારો ખૂલવાની શક્યતા છે. રેડ અંગે અજાણ હોવાનું રટણ કરીને ધીરુ ગજેરા ગાડી લઈને ભાગ્યાજ્યારે વસંત ગજેરાના ભાઈ ધીરુ ગજેરાના નિવાસસ્થાને દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી હતી ત્યારે ધીરુ ગજેરા મીડિયાના કેમેરાથી બચતા અને ભાગતા નજરે પડ્યા હતા; તેમણે આ રેડ અંગે પોતે સાવ અજાણ હોવાનું રટણ કર્યું હતું. વધુમાં, મીડિયાના પ્રશ્નોથી બચવા માટે બપોર પછી મળો તેમ કહી તેઓ ઉતાવળમાં પોતાની ગાડી હંકારી ત્યાંથી રવાના થઈ ગયા હતા, જેના કારણે સમગ્ર મામલે અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. જમીન લે-વેચમાં બેનામી વ્યવહારોની આશંકાઆઈટી વિભાગની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જમીન ખરીદીમાં ઇન્કમટેક્સ બચાવવા માટે આ ગ્રુપ દ્વારા મોટા પાયે અન્યોના નામે વેપલો કરવામાં આવતો હતો. ખાસ કરીને જમીન ટોચ મર્યાદાના કાયદામાંથી બચવા માટે પહેલા જમીન બીજા વ્યક્તિઓના નામે ખરીદવામાં આવતી અને ત્યારબાદ ચોક્કસ ગોઠવણ કરીને તે પોતાના નામે કરી લેવામાં આવતી હતી. આ દિશામાં અત્યારે દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. કંપનીએ કરેલા નાણાકીય વ્યવહારો તપાસના ઘેરામાંતપાસ દરમિયાન સામે આવ્યું છે કે, ગજેરા પરિવારના સભ્યો અનેક કંપનીઓમાં ડાયરેક્ટર પદે બિરાજમાન છે. જેમાં વસંત ગજેરા 32 કંપનીમાં, ચુની ગજેરા 41 કંપનીમાં, વૃષાલ 23 અને જતીન ગજેરા 8 કંપનીઓમાં ડિરેક્ટર છે. આ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા નાણાકીય વ્યવહારો હવે તપાસના ઘેરામાં છે. વેવાઈના જમીન પ્રોજેક્ટ્સમાં મોટા પાયે રોકાણ કર્યુંઆ ઉપરાંત, વસંત ગજેરાએ તેમના વેવાઈના જમીન પ્રોજેક્ટ્સમાં પણ મોટા પાયે રોકાણ કર્યું હોવાના પુરાવા મળ્યા છે. મોટા પાયે રોકડ અને દસ્તાવેજો જપ્તબીજા અને ત્રીજા દિવસની તપાસમાં આઈટી વિભાગે શેરબજારમાં કરેલા જંગી રોકાણો, સોના-ચાંદીની જ્વેલરી અને રોકડ રકમ કબજે કરી છે. ઇન્કમટેક્સ વિભાગે વસંત ગજેરા એન્ડ કંપનીને દસ દિવસ પહેલા જ ટેક્સ ચોરી અંગે નોટિસ ફટકારી હતી, તેમ છતાં સંતોષકારક જવાબ ન મળતા આ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. આગામી દિવસોમાં મોટા ઘટસ્ફોટની તૈયારીહાલમાં જપ્ત કરાયેલા વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓના મતે, આગામી દિવસોમાં સુરતના ઇતિહાસનો સૌથી મોટો કાળા નાણાનો ખેલ બહાર આવી શકે છે. હજુ પણ કેટલાય લોકરો ખોલવાના બાકી હોવાથી આ આંકડો કરોડોમાં પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે. 1.30 કરોડથી વધુની બિનહિસાબી રોકડ આ તપાસ દરમિયાન અંદાજે 1.30 કરોડથી વધુની બિનહિસાબી રોકડ મળી આવી હોવાના અહેવાલ છે, સાથે જ મોટા પાયે બે નંબરી આર્થિક વ્યવહારોના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. ખાસ કરીને દેશ છોડીને ભાગી ગયેલા મેહુલ ચોકસીના હજારો કરોડ રૂપિયાના રોકાણનું પગેરું શોધવા માટે આવકવેરા વિભાગની ડીડીઆઈ વિંગ દ્વારા આ આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં ઝવેરાત અને મિલકતો સંબંધિત વ્યવહારોનું ઊંડાણપૂર્વક વેરિફિકેશન ચાલી રહ્યું છે. લક્ષ્મી ડાયમંડ ગ્રુપની શરૂઆત વર્ષ 1968માં થઈ લક્ષ્મી ડાયમંડ ગ્રુપની શરૂઆત વર્ષ 1968માં થઈ હતી, જ્યારે પરિવારના સૌથી મોટા ભાઈ વસંતભાઈ ગજેરા અમરેલીથી સુરત સ્થળાંતરિત થયા હતા. વ્યવસાયે ખેડૂત એવા તેમના પિતાએ આ વ્યવસાય શરૂ કરવા માટે 10,000ની મૂડી આપી હતી. વસંતભાઈએ તેમના અન્ય બે ભાઈઓ, ધીરુભાઈ અને ગિરધરભાઈ સાથે મળીને સુરતના એક ભાડાના મકાનમાં માત્ર ત્રણ ડાયમંડ પોલિશિંગ ઘંટીઓથી કામકાજ શરૂ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 1972માં વિધિવત રીતે 'લક્ષ્મી ડાયમંડ' સંસ્થાની સ્થાપના કરવામાં આવી. છેલ્લા 50 વર્ષોમાં આ કંપની ત્રણ ભાઈઓની ભાગીદારીમાંથી એક નાનું એકમ અને તેમાંથી વૈશ્વિક હીરા ઉદ્યોગના મોટા ગ્રુપ તરીકે વિકસી છે. ધીરુ ગજેરાની કોર્પોરેટરથી ધારાસભ્ય સુધીની સફર ધીરુ ગજેરાનો જન્મ 14 ઓક્ટોબર, 1953ના રોજ અમરેલીના મોહપર ગામમાં થયો હતો. તેમના પરિવારમાં પત્ની, પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર છે. તેમના પિતા હરિભાઈ ગજેરા પીઢ રાજકારણી દ્વારકાદાસ પટેલના ટેકેદાર હતા અને નાનપણથી જ રાજકીય પ્રવૃત્તિઓના સાક્ષી બનવાને લીધે આ ક્ષેત્રે ઝંપલાવ્યા બાદ ધીરુભાઈ 1987માં સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેટર તરીકે તથા ત્યાર પછી 1995માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2007માં ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા ને 2021માં ઘરવાપસી કરી લક્ષ્મી ડાયમંડના વસંત ગજેરા, ધીરુ ગજેરા અને ચુની ગજેરા પાટીદાર સમાજમાં ખૂબ મોટું નામ ધરાવે છે, જેમાં રાજકીય રીતે ધીરુ ગજેરા હંમેશાં સક્રિય રહ્યા છે. ધીરુભાઇ ગજેરા મૂળ જનસંઘથી જોડાયેલા હતા. વર્ષ 1995થી વર્ષ 2007 સુધી ભાજપ સાથે જોડાયેલા રહ્યા અને ધારાસભ્ય પણ બન્યા હતા. ત્યાર બાદ 2007માં ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા. 2017માં તેમણે વિધાનસભાની ચૂંટણીમાં વરાછા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં તેમની હાર થઇ હતી. ત્યાર બાદ 2021માં ફરી તેઓ ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસમાંથી 4 વખત ધારાસભાની ચૂંટણી હાર્યા કોંગ્રેસમાંથી સતત તેઓ ચાર વખત પરાજિત થયા છે. ધીરૂ ગજેરા રાજકીય મંચ ઉપરથી ભાષણ આપીને લોકોની તાળીઓ તો ખૂબ મેળવતા હોય છે પરંતુ મત મેળવવામાં નિષ્ફળ જાય છે. તેમનું વ્યક્તિગત કદ પણ હવે રાજકીય રીતે ઓછું થયું છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 11:56 am

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ:‘બોલ માડી અંબે’ના નાદ સાથે પાલખી યાત્રા, વનમંત્રીએ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો, 1 ફેબ્રુઆરી સુધી ગબ્બર પરિક્રમા

ગબ્બર પહાડ પર આવેલી શેષનાગ ગુફાનો જીર્ણોદ્ધાર પૂર્ણ થયો છે. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પૂર્વે ગઈકાલે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ગુફામાં સ્થાપિત તમામ મૂર્તિઓ અને શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે આજથી 1 ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસીય કાર્યક્રમની શરૂઆત થઈ છે. વન મંત્રી પ્રવીણ માળીએ પરિક્રમા મહોત્સવને ખુલ્લો મૂક્યો છે. 1 ફેબ્રુઆરી સુધી ગબ્બર પરિક્રમા યોજાશે.આ શેષનાગ ગુફા ગબ્બર કાળ ભૈરવ મંદિર હસ્તક આવેલી છે. ગબ્બર પહાડ પર ઉતરવાના રસ્તા પર આવેલી આ ગુફામાં મહાદેવ અને મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. ગુફાનો આકાર શેષનાગ જેવો હોવાથી તે શેષનાગ ગુફા તરીકે ઓળખાય છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 11:27 am

મૌસમે મિજાજ બદલ્યો:ભાવનગરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ, 2.5 ડીગ્રીનો વધારો થતાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું

ભાવનગરમાં ભરશિયાળે મોસમનો માહોલ બદલાયો છે છેલ્લા બે દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તાર સાથોસાથ ભાવનગર શહેર જિલ્લામાં પણ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અવકાશમાં વાદળો છવાઈ જવા સાથે ઠંડીનું પ્રમાણ ઘટી જવા પામ્યો છે અને વાતાવરણ ધૂંધળું બન્યું છે, આજે 2.5 ડિગ્રીનો વધારો થતાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું, ભાવનગર શહેર જિલ્લામાં વાતાવરણ ડોહળાયું હતું અને આકાશમાં વાદળો જોવા મળ્યા હતા,આકાશમાં ધુમ્મસનું પ્રમાણ વધુ રહેવા સાથે ભેજના પ્રમાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે ત્યારે આ બદલાયેલા માહોલને પગલે ધરતી પુત્રોની ચિંતામાં વધારો થયો છે કારણ કે, માવઠું થવાના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની સંભાવના પ્રબળ બને છે, પરંતુ જો આ જ માહોલ વધુ સમય સુધી અકબંધ રહેશે તો કેરી સહિત બાગાયત ખેતને પણ નુકસાન કરી શકે છે. છેલ્લા પાંચ દિવસ નો તાપમાન નો પારો તા.26 જાન્યુઆરી ને સોમવારના રોજ મહત્તમ તાપમાન 31.9 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 36 ટકા અને પવનની ઝડપ 14 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, તા.27 જાન્યુઆરી ને મંગળવારના રોજ મહત્તમ તાપમાન 29.8 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 48 ટકા અને પવનની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, તા.28 જાન્યુઆરી ને બુધવારના રોજ મહત્તમ તાપમાન 26.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 27 ટકા અને પવનની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, તા.29 જાન્યુઆરી ને ગુરુવારના રોજ મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 52 ટકા અને પવનની ઝડપ 14 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, તા.30 જાન્યુઆરી ને શુક્રવારના રોજ લઘુત્તમ તાપમાન 17.7 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 80 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 11:24 am

ભારે પવનને કારણે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી:રાજ્યમાં તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી ઊંચકાયો; બે દિવસ બાદ ફરી ઠંડીમાં વધારો થશે

રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનમાં સતત બદલાવ જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 48 કલાકમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે, જેના કારણે હાલ અનુભવાતી ઠંડીમાં આંશિક રાહત મળશે. જો કે, આ રાહત લાંબા સમય સુધી ટકશે નહીં. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ત્યારબાદના ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં ફરી 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. પરિણામે રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું જોર વધશે. જોકે શીતલહેર જેવી ગંભીર સ્થિતિ સર્જાવાની શક્યતા નથી. માછીમારોને દરીયો ન ખેડવા સૂચનાઆ પછી ફરી તાપમાનમાં થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે, ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમી અને ઠંડી બંને ઋતુઓનો મિશ્ર અનુભવ થવાની શક્યતા છે. આ ઉપરાંત, દરિયાઈ વિસ્તારમાં પવનની ઝડપ વધવાની આગાહીને પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ એલર્ટ જાહેર કર્યું છે. માછીમારોને આગામી દિવસોમાં દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 11:23 am

ઈન્સ્ટા પર વાંધાજનક વીડિયો અપલોડ કરનાર સામે કાર્યવાહી:જાગૃત નાગરિકે પોલીસને X પર ટેગ કર્યુ; ધાર્મિક શાંતિ ડહોળાય તેવા શબ્દનો ઉપયોગ હોવાથી સન્ની શાહ સામે ફરિયાદ

સાબરમતી પોલીસ સ્ટેશનમાં સોશિયલ મીડિયામાં વાંધાજનક વીડિયો અપલોડ કરવામાં આવતા સન્ની ગિરીશભાઈ શાહ સામે પોલીસે ફરિયાદ નોંધી છે. સન્ની ગિરિશભાઈ શાહ નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર વાંધાજનક અને ઉશ્કેરણીજનક વીડિયો અપલોડ કર્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર narsinhma_2730 નામના એકાઉન્ટ પરથી વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં સામાજિક સમરસતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને અસર પહોંચાડે તેવો હોવાથી સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. એક વ્યક્તિએ ઈન્સ્ટા પરનો વીડિયો પોલીસને X પર ટેગ કર્યોસાબરમતી પોલીસ સ્ટેશનમાં સાયબર સ્કોડમાં હાજર લોકો સોશિયલ મીડિયા પર વોચ રાખી રહ્યા હતા. ત્યારે 29 જાન્યુઆરીના બપોરે 1 વાગ્યે એક વીડિયો અપલોડ થયો હોવાનું અને તે વાંધાજનક હોવાનું સામે આવ્યું હતું. જેનો સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર એક વ્યક્તિ તે વીડિયો અપલોડ કરીને અમદાવાદ પોલીસને ટેગ કરીને વીડિયો સામે વાંધો ઉઠાવ્યો હતો. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મૂકાયેલા વીડિયોમાં વ્યક્તિ એક ચોક્કસ સમુદાયને નિશાન બનાવી ઉશ્કેરણીજનક શબ્દોનો ઉપયોગ કરતો હોવાનું જણાયું છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ થતા તેની અસર સામાજિક શાંતિ પર પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. પોલીસે વીડિયોની તપાસ કરતા સન્ની શાહનું નામ બહાર આવ્યુંઆ વીડિયોમાં કરવામાં આવેલા નિવેદનો ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે તેવા હોવાની અમદાવાદ પોલીસને ટેગ કરીને ફરિયાદ કરવામાં આવી હતી. જેથી પોલીસે તપાસ કરતા વાંધાજનક શબ્દો સાથે અપલોડ થયેલો વીડિયો narsinhma_2730 નામની ઈન્સ્ટાગ્રામ આઇડી પરથી અપલોડ થયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતા વીડિયો બનાવી અપલોડ કરનાર સન્ની ગિરીશભાઈ શાહ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે ગુનો દાખલ કર્યોજેથી વાંધાજનક વીડિયોના કારણે સામાજિક સમરસતાનું વાતાવરણ ડહોળાઈ અને લોકો ઉશ્કેરાય તેવા પ્રયત્નો કરાયા હોવાનું અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને નુકસાન થાય અને શાંતિનો ભંગ થાય તેવી શક્યતા હોવાનું પોલીસને જણાઈ આવ્યું હતું. જેથી પોલીસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જણવાઈ રહે તે માટે ઈન્સ્ટાગ્રામ આઇડી narsinhma_2730 પરથી વીડિયો અપલોડ કરનાર સન્ની ગિરીશભાઈ શાહ સામે સાબરમતી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 11:10 am

મોરબીમાં ઉદ્યોગ પ્રશ્નો માટે ઓપન હાઉસ:પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં 5 ફેબ્રુઆરીએ બેઠક યોજાશે

મોરબી જિલ્લામાં વેપાર-ઉદ્યોગ સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે 'ઓપન હાઉસ' મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક રાજ્યકક્ષાના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં 5 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 કલાકે યોજાશે. બેઠક મોરબી કલેક્ટર કચેરીના કોન્ફરન્સ રૂમ નંબર 136 ખાતે યોજાશે. આ ઓપન હાઉસ અંતર્ગત, જિલ્લાના ઔદ્યોગિક એસોસિએશનોને ઉદ્યોગોને લગતા પ્રશ્નો કે સૂચનો મોકલવા જણાવાયું છે. પ્રશ્નો સોફ્ટ કોપીમાં gm-dic-mor@gujarat.gov.in પર અથવા હાર્ડ કોપીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રૂમ નંબર 233, 234, જિલ્લા સેવા સદન, સો-ઓરડી, મોરબી ખાતે મોકલી શકાશે. પ્રશ્નો અને સૂચનો 31 જાન્યુઆરી, 2026 સુધીમાં મોકલવાના રહેશે. આ અંગેની માહિતી મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર દ્વારા એક યાદીમાં આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 11:03 am

સચાણા ગામે નવા સીસી રોડનું નિર્માણ થશે:ધારાસભ્ય રાઘવજી પટેલના હસ્તે ખાતમુહૂર્ત, ગ્રામજનોએ ધારાસભ્યનું સન્માન કર્યું

જામનગર તાલુકાના સચાણા ગામે ધારાસભ્ય રાઘવજી પટેલ દ્વારા સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સચાણા ગામના સરપંચ કાદરભાઈ કક્લ અને તેમના સદસ્યઓ પણ હાજર રહ્યા હતા. આ રોડનું કામ આજથી શરૂ કરવામાં આવ્યું છે. ગ્રામજનોએ ધારાસભ્ય રાઘવજી પટેલનું સન્માન કર્યું હતું અને ગામમાં વિકાસ કાર્યો કરવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 10:58 am

સમૂહલગ્નની પ્રથામાં ક્રાંતિકારી બદલાવ:મહેસાણાના સુથાર સમાજે શરૂ કરી 'દૈનિક લગ્ન યોજના', મુર્હત વરઘડિયાનું અને લગ્ન સમાજ કરી આપશે

આજના મોંઘવારીના યુગમાં લગ્ન પ્રસંગોમાં થતા લાખો રૂપિયાના બિનજરૂરી ખર્ચાઓ અટકાવવા અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક ભારણમાંથી મુક્ત કરવા માટે મહેસાણાના પાટણવાડા ગજ્જર સુથાર સમાજે એક પ્રેરણાદાયી પહેલ કરી છે. સમાજ દ્વારા પરંપરાગત સમૂહ લગ્નને બદલે હવે ‘દૈનિક લગ્ન યોજના’ અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત વર-કન્યા પક્ષ વર્ષના કોઈપણ દિવસે પોતાના મનગમતા મુહૂર્તમાં લગ્ન કરી શકશે. દાતા પાસેથી મળતા 31 હજારથી લગ્નનો ખર્ચ સામાન્ય રીતે સમૂહ લગ્નો વર્ષમાં એક જ વાર યોજાતા હોય છે, જેના કારણે પરિવારોએ લાંબો સમય રાહ જોવી પડતી હોય છે. વળી એક જ દિવસે અનેક લગ્નો હોવાથી ભીડભાડ અને વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી પડતી હોય છે. આ સમસ્યાના ઉકેલ રૂપે સમાજના પ્રમુખ દિનેશ સુથાર અને કારોબારી સભ્યો દ્વારા આ નવતર પ્રયોગ શરૂ કરાયો છે. આ યોજના હેઠળ દાતા પાસેથી માત્ર 31 હજાર રૂપિયા જેવી નજીવી રકમ લઈને સમાજ લગ્નનો તમામ ખર્ચ અને વ્યવસ્થા સંભાળે છે. વિદેશમાં રહેતા યુવક-યુવતીઓ માટે આશીર્વાદરૂપઃ કારોબારી સભ્યસમાજના કારોબારી સભ્ય જશવંત સુથારના જણાવ્યા મુજબ, આ યોજના ખાસ કરીને વિદેશમાં ભણતા કે રહેતા યુવક-યુવતીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. વિદેશથી આવતા યુવાનો પાસે વેકેશનનો સમય મર્યાદિત હોય છે. ત્યારે તેઓ સમૂહ લગ્નની ચોક્કસ તારીખની રાહ જોયા વિના પોતાના અનુકૂળ સમયે લગ્ન કરી શકશે. આ પદ્ધતિથી લગ્ન કરવા છતાં પરિવારને પોતાના અંગત પ્રાઈવેટ પ્રસંગ જેવો જ અનુભવ અને માન-સન્માન મળે છે. 6 યુગલો પાછળ અંદાજે 20 લાખ રૂપિયાનો ખર્ચઆ યોજનાની આર્થિક સફળતા વિશે વાત કરીએ તો ગત વર્ષે સમૂહ લગ્નમાં 6 યુગલો પાછળ અંદાજે 20 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. જ્યારે આ નવીન દૈનિક યોજનામાં તેટલા જ લગ્ન માત્ર 2 લાખ રૂપિયાના નજીવા ખર્ચમાં સંપન્ન થઈ શકે છે. આમ સમાજની મોટી બચત સાથે પરિવારો પરનો આર્થિક બોજ પણ ઘટ્યો છે. વરઘડિયાને લગ્ન માટે બાર માસની રાહ જોવી પડતી હતીઃ પ્રમુખપાટણ ગજ્જર વાળા સમાજ મહેસાણાના પ્રમુખ દિનેશ સુથારે જણાવ્યું કે, આ દૈનિક લગ્ન યોજના છે. પહેલા સમૂહ લગ્ન યોજના કરતા હતા, એમાં એકજ તારીખે બધા વરઘડિયાના લગ્ન કરવાના, જેથી બધા વરઘડિયાને રાહ જોવી પડતી હતી. દૈનિક લગ્ન યોજનામાં મુર્હત વરઘડિયાનું અને લગ્ન સમાજ કરી આપશે. એટલે જે રાહ જોવી પડતી હતી હવે એ રાહ જોવી પડશે નહિ. સમૂહ લગ્નમાં ખર્ચા બહુ થતા હતા અને તકલીફો ઘણી પડતી હતી. વરઘડિયાને લગ્ન માટે બાર માસની રાહ જોવી પડતી હતી. આ દૈનિક સમૂહલગ્નમાં તમામ ખર્ચ સમાજ ભોગવે છે. ગઈ સાલ આજણા પરિવાર દ્વારા સમૂહલગ્ન કરવામાં આવ્યા હતા. એમાં છ વરઘડિયાના લગ્ન માટે વીસ લાખથી વધુ ખર્ચ થયો હતો. એમાંથી પ્રેરણા લઈ ખર્ચ ઘટાડવા માટે દૈનિક સમૂહલગ્ન યોજના ચાલુ કરી છે. આ સમૂહલગ્ન યોજના દાતાઓ પાસેથી 31 હજાર રૂપિયા લેવામાં આવે છે. ઘરઆંગણે લગ્ન થતા હોય તેવો જ અહેસાસ થાય છેઃ કન્યાના પિતાતાજેતરમાં જ આ યોજનાનો લાભ લેનાર કન્યાના પિતા જયેશ સુથારે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અહીં ભીડભાડ વગર ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે. ઘરઆંગણે લગ્ન થતા હોય તેવો જ અહેસાસ થાય છે અને સમાજનો સહકાર પણ પ્રશંસનીય રહે છે. અત્યાર સુધીમાં 4 યુગલો આ યોજના હેઠળ લગ્નગ્રંથિથી જોડાઈ ચૂક્યા છે. પાટણવાડા ગજ્જર સુથાર સમાજની આ અનોખી પહેલ આજે અન્ય સમાજો માટે પણ અનુકરણીય ઉદાહરણ બની છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 10:58 am

કોળી સમાજની ન્યાય સભાનું બેનર ફાડવા મામલે FIR:આવારાતત્વોએ આવીને માફી ન માગતા અમારે ના છૂટકે ફરિયાદ કરવી પડી: કિશન મેર

ભાવનગર શહેરમાં 29 જાન્યુઆરીની મોડીરાતે ભાવનગર-રાજકોટ રોડ પર, સરીતા સોસાયટીના નાકા પાસે નવનીત બાલધિયા માટેની ન્યાય સભાના બેનર ફાડવાની ઘટના સામે આવી હતી. જેમાં અજાણ્યા બે શખસે બેનર ફાડ્યું હતું, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ગતમોડી રાત્રિના આ મામલે અજાણ્યા શખસો વિરુદ્ધ બોરતળાવ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કોળી સમાજ દ્વારા બેનરો લગાવાયા હતાંઆ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ભાવનગર જિલ્લા કોળી સમાજના પ્રમુખ કાળુભાઈ જાંબુચા ફરિયાદ નોંધાવી છે કે, બગદાણા ગામના નવનીત બાલધિયાની સાથે મારામારીનો બનાવ બન્યો છે, જે બાબતમાં કોળી સમાજના આગેવાનો દ્વારા સમાજનો આભાર માનવા માટે ન્યાય સભાનુ આયોજન કુંભારવાડા અક્ષર પાર્ક ખાતે મેદાનમાં કરવામાં આવ્યું હતું. આ સભાના આયોજન બાબતે પ્રચાર અને પ્રસાર હેતુથી અલગ-અલગ જગ્યાએ કોળી સમાજના સ્વયં સેવકો દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યાં હતા. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરીમને સોશિયલ મીડિયામાં વીડિયો આવ્યો કે, 29 જાન્યુઆરીના રોજ મોડીરાતે ભાવનગર-રાજકોટ રોડ પરના સરીતા સોસાયટીનું નાકુ, સિંહણદીપ કોમ્પેક્ષ પાસે જે પોસ્ટર લગાવવામાં આવ્યું હતું તે પોસ્ટર એક બાઈક પર અજાણ્યા શખસોએ આવી કોળી સમાજ અને આહિર સમાજ વચ્ચે દુશ્મનાવટ અને ધીક્કારની લાગણી અનુભવે તેમજ કોળી સમાજની લાગણીઓને નુકશાન પહોંચાડવાના હેતુથી દ્વેશ પૂર્ણ ઇરાદાથી ન્યાય સભાના પોસ્ટર ફાડી નુકસાન પહોંચાડ્યું હતું. તેમજ કોળી સમાજ અને આહિર સમાજ વચ્ચે જાહેર સુલેહ શાંતીનો ભંગ થાય તેવુ કૃત્ય કર્યું હોવાથી તે અંગે ફરિયાદ નોંધાવું છું. કાળુભાઈ જબૂચની ફરિયાદના આધારે બોરતળાવ પોલિસે અજણાયા ઈસમો વિરુદ્ધ BNS 196(1)(B), 270, 324(1), 54 કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શખસો માફી ન માગતા અમારી ના છુટકે ફરિયાદ કરવી પડીઆ અંગે કોળી સમાજના આગેવાન કિશન મેરે જણાવ્યું હતું કે, અમારા સમાજના આગેવાન કાળુભાઈ જાંબુચા દ્વારા જે કોળી સમાજની ન્યાય સભા થવા જઈ રહી છે, તે અનુસંધાને જે બેનરો લાગ્યા હતા, તે બેનરો કોઈ અજાણ્યા સમાજ દ્વારા આવારા તત્વો દ્વારા ફાડી નાખવામાં આવ્યા છે. ત્યારે અમારી લાગણી હતી કે, પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે. આ અજાણીયા શખસો આવીને માફી માંગી લે. કોળી સમાજ જતુ કરવાની ભાવના વાળો સમાજ છે. અમારે કોઈ સાથે ભેદભાવ કે વિખવાદ છે નહીં, જેથી કરીને પોલીસ તંત્રને રજૂઆત કરી હતી, પરંતુ આજ સુધીમાં આવારા તત્વો આવીને માફી માગી નથી અને જેના કારણે અમારે ફરિયાદ ના છૂટકે નોંધવાની જરૂરિયાત પડી છે. જે અમારા સમાજના આગેવાન કાળુભાઈ જાંબુચા દ્વારા ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 10:41 am

અડાલજ પાસે હિટ એન્ડ રન, એકનું મોત:અમદાવાદથી ગાંધીનગર આવતા બાઇક સવાર બે મિત્રને અજાણ્યા વાહને ટક્કર મારી

અમદાવાદ-ગાંધીનગર એસ.જી. હાઇવે પર અદાણી શાંતિગ્રામ બ્રિજ પાસે પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને બાઇકને જોરદાર ટક્કર મારતા એક 28 વર્ષીય યુવકનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાહનચાલક અકસ્માત સર્જી ફરારઅમદાવાદના ઘાટલોડિયામાં રહેતા લક્ષ્મણજી ઠાકોરનો 22 વર્ષીય પુત્ર સાહિલ અને તેનો મિત્ર ચંદ્રકાન્ત રમણલાલ યાદવ 28 જાન્યુઆરીની મોડીરાતે બાઈક પર થઈને અમદાવાદથી ગાંધીનગર તરફ આવી રહ્યા હતા. ત્યારે અદાણી શાંતિગ્રામ બ્રિજ ઉતરતા સમયે કોઈ અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે બંને યુવકો રોડ પર ફંગોળાયા હતા, જ્યારે અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બેભાન યુવકે સારવારમાં દમ તોડ્યોઆ અકસ્માત બાદ બંને મિત્રોને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સાહિલને માથાના ભાગે ગંભીર ઇજા અને જમણા પગે ફ્રેક્ચર થતા તેને બેભાન હાલતમાં સારવાર હેઠળ દાખલ કરાયો છે. જોકે 28 વર્ષીય ચંદ્રકાન્ત યાદવની હાલત વધુ નાજુક હોવાથી તેને અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન 29 જાન્યુઆરીની રાત્રે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. અડાલજ પોલીસે તપાસ શરૂ કરીઆ અંગે અડાલજ પોલીસે લક્ષ્મણજી ઠાકોરની ફરિયાદના આધારે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી આસપાસના સીસીટીવી ચેક કરવાની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 10:23 am

રાયખડ શ્રીકાશી વિશ્વનાથ મંદિરમાં માતા પાર્વતીના ચાંદીના મુકુટની ચોરી:ભક્તના વેશમાં આલેવી મહિલાએ હાથ સાફ કર્યો, CCTVના આધારે તપાસ શરૂ

રાયખડ વિસ્તારમાં આવેલા એક પ્રાચીન મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. રાયખડ ચાર રસ્તા BRTS પાસે આવેલા શ્રીકાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાંથી પાર્વતી માતાજીના ચાંદીના મુકુટની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. મંદિરના પૂજારીએ સાફ-સફાઈ કરતા સમયે કાચનો દરવાજો ખોલ્યો ત્યારે ચાંદીનો મુકુટ ગાયબ હતો, જેથી મંદિરના ટ્રસ્ટીને જાણ કરતા તેમને CCTV ચેક કરતા ભક્તના વેશમાં આવેલી અજાણી સ્ત્રી કાચનો દરવાજો ખોલીને મુકુટ ચોરી ગઈ હોવાનું કેદ થયું હતું, જેથી મંદિરના ટ્રસ્ટીએ CCTV ફૂટેજના આધારે અજાણી સ્ત્રી સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પૂજારીના જાણ થતાં ટ્રસ્ટીના જાણ કરી15 ડિસેમ્બર,2025ના સાંજે પૂજારી મંદિરમાં સાફ સફાઈ કરી રહ્યા હતા. સાફ સફાઈ દરમિયાન મંદિરની ડાબી બાજુ પર આવેલા પાર્વતી માતાજીના સ્થાનકનો કાચનો દરવાજો ખુલ્લી હોવાનું સામે આવ્યું હતું. જેથી મંદિરના પૂજારીએ અંદર જઈને ચેક કરતા માતાજીના માથા પર મૂકેલ ચાંદીનો મુકુટ જોવા મળ્યો નહોતો. પૂજારીએ મંદિરના આસપાસના ભાગમાં પણ તપાસ કરી હતી, પરંતુ ક્યાંય પણ ચાંદીનો મુકુટ મળી આવ્યો નહીં. ચાંદીનો મુકુટ ગાયબ થઈ ગયો હોવાનું સામે આવતા પૂજારીએ ટ્રસ્ટીને જાણ કરી હતી, જેથી મંદિરના ટ્રસ્ટી પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને મંદિરમાં અંદર અને બહાર લાગેલા CCTV કેમેરા ચેક કર્યા હતા. DVR બંધ હોવાથી ચાંદીનો મુકુટ કોણ ચોરી ગયું તે જોઈ શકાયું નથી, જેથી તાત્કાલિક DVR રિપેરિંગ કરાવી હતી અને તે બાદ મંદિરમાં લાગેલા CCTV ચેક કરવામાં આવ્યા હતા. CCTVમાં એક મહિલા ચોરી કરતી જોવા મળીમંદિરમાં લાગેલા CCTV ચેક કરતા 12 ડિસેમ્બરના દિવસે 11.30 વાગ્યે એક અજાણી સ્ત્રી મંદિરમાં દર્શન કરવા માટે આવી હતી. ગુલાબી કલરની સાડી પહેરીને ભક્તનો વેશ ધારણ કરીને આવેલી સ્ત્રીએ પાર્વતી માતાજીના સ્થાનકનો કાચનો દરવાજો ખોલ્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ કાચનો દરવાજો ખોલી સ્ત્રીએ માતાજીના માથાના પર મૂકેલ ચાંદીનો મુકુટ ચોરી કરી ફરાર થઈ જતી હોવાનું CCTV કેમેરામાં કેદ થયું હતું. જે બાદ ટ્રસ્ટીએ સ્ત્રી કોણ હતી તેની પૂછપરછ કરતા કોઈ વિગતો મળી આવી નહોંતી, જેથી CCTV ના આધારે 30 હજારના માતાજીના મુકુટની અજાણી સ્ત્રી ચોરી કરી હોવાની ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTVના આધારે અજાણીની સ્ત્રીની શોધખોળ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 10:19 am

વેરાવળના લુંભા ગામમાં સિંહોની 'શાહી મિજબાની':મોડીરાત્રે 4 સિંહનું ટોળું ગામની ગલીઓમાં ઘૂસી આવ્યું; શિવમંદિરના પ્રાંગણમાં ગાયનું મારણ કર્યું, ગ્રામજનોમાં ફફડાટ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાનું લુંભા ગામ અત્યારે ફફડાટ અને ભયના ઓથાર નીચે જીવી રહ્યું છે. ગત (29 જાન્યુઆરી) મોડી રાત્રે ચાર સિંહનું ટોળું ગામની ગલીઓમાં ઘૂસી આવ્યું હતું અને ગામની મધ્યમાં આવેલા પવિત્ર શિવ મંદિરના પ્રાંગણમાં જ ગાયનું મારણ કરી મિજબાની માણી હતી. આ ઘટનાને પગલે વન્યપ્રાણી અને માનવ સંઘર્ષની ભીતિ સેવાઈ રહી છે. ગામની ગલીઓમાં સાવજોની ડણકમધ્યરાત્રિના સમયે જ્યારે આખું ગામ ગાઢ નિંદ્રામાં હતું, ત્યારે ચાર સિંહનો પરિવાર ખોરાકની શોધમાં રહેણાક વિસ્તારમાં આવી ચડ્યો હતો. સિંહો કોઈ પણ ડર વગર ગામની મુખ્ય ગલીઓમાં આંટાફેરા કરતા રહ્યા હતા. આ દરમિયાન શિવ મંદિર પાસે બાંધેલી એક ગાય પર સિંહોએ તરાપ મારી હતી અને મંદિરના પ્રાંગણમાં જ તેનું મારણ કરી લાંબો સમય સુધી મિજબાની માણી હતી. કેમેરામાં કેદ થઈ ‘શાહી મિજબાની’ગામની ગલીઓમાં સિંહોના ખુલ્લેઆમ આંટાફેરા અને મંદિરના ચોકમાં મારણના દૃશ્યો કેટલાક સ્થાનિકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા જ વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. ગામની શાંત ગલીઓમાં સિંહોની આ પ્રકારે હાજરીથી લોકોમાં ભારે દહેશત જોવા મળી રહી છે. માનવજીવન પર મંડરાતો ખતરોલુંભા ગામ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી સિંહ અને દીપડાના આંટાફેરા વધ્યા છે. પશુપાલકો, બાળકો અને વૃદ્ધો માટે હવે રાત્રે તો ઠીક પણ વહેલી સવારે ઘરની બહાર નીકળવું પણ જોખમી બન્યું છે. અવારનવાર થતા મારણથી પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. વન વિભાગ પાસે પેટ્રોલિંગની માગઘટનાને પગલે લુંભા ગામના લોકોમાં ભારે રોષ અને ભય જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ માંગણી કરી છે કે: હાલ તો લુંભા ગામના લોકો રાત્રિ પડતા જ ઘરોમાં કેદ થઈ જાય છે અને વન વિભાગ ક્યારે જાગશે તેની રાહ જોઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 10:19 am

જુગારના અડ્ડા પર રેડ, 21 લોકોની ધરપકડ:ગોડાદરા પોલીસે વેપારી, રિક્ષાચાલક, હીરા મજૂર અને સંચા કામદારોને પત્તા રમતા રંગે હાથ ઝડપ્યા

ગોડાદરા પોલીસે જુગારના અડ્ડા પર રેડ કરી 21 લોકોની ધરપકડ કરી છે. રેડ દરમિયાન ત્યાં હાજર રહેલા 21 શખસ નાસભાગ કરે તે પહેલા જ પોલીસે તેમને કોર્ડન કરી લીધા હતા. આ જુગારધામમાં મજૂરી કરનારાથી લઈને વેપારીઓ અને ડ્રાઇવિંગ જેવા વ્યવસાય સાથે સંકળાયેલા શખસો પણ સામેલ હતા. પોલીસે ઘટનાસ્થળેથી લાખોની રોકડ અને વાહનો સહિત કુલ 7.74 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જપ્ત કરવામાં આવેલી મત્તાપોલીસે આ રેડ દરમિયાન આરોપીઓ પાસેથી અંગઝડતીમાં 1,29,850 અને દાવ ઉપરથી 29,350 મળી કુલ 1,59,200ની રોકડ રકમ કબજે કરી છે. આ ઉપરાંત, ગુનામાં વપરાયેલા 19 મોબાઈલ ફોન (કિંમત 1,95,000) અને 6 વાહનો (કિંમત 4,20,000) પણ જપ્ત કરવામાં આવ્યા છે. આમ, કુલ 7,74,200ની મત્તા સાથે પોલીસે જુગારધામનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ અને તેમનો વ્યવસાય ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી મોટાભાગના શખસો મજૂરી અથવા નાના વ્યવસાયો સાથે સંકળાયેલા છે. આરોપી નંબર 1 અનિલ દિનકર સાઠે છે, જે પાણીના બોર બનાવવાનો ધંધો કરે છે. આરોપી નં.2 મહેન્દ્ર પ્રહલાદ્ભાઇ પાટીલ અને આરોપી નંબર 18 જયવંત બેન્દ્રે હાલમાં કોઈ વ્યવસાય કરતા નથી અને બેકાર છે. આરોપી નંબર 3 વિજય પટેલ સંચા ખાતામાં કામ કરે છે, જ્યારે આરોપી નંબર 4 ઇશ્વર પ્રજાપતિ, આરોપી નંબર 5 નીતિન પાટીલ અને આરોપી નંબર 17 કંગરૂભાઇ મુદુલી વેપારના ધંધા સાથે જોડાયેલા છે. પરિવહન ક્ષેત્રે જોડાયેલા આરોપીઓઆરોપી નંબર 6 હિરાલાલ પાટીલ અને આરોપી નંબર 14 બાબુલાલ ખટીક રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. જ્યારે આરોપી નંબર 15 હેમંત ઉર્ફે શૈલેષ રાજપૂત ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. નોકરી કરતા શખસોમાં આરોપી નંબર 7 અનિલ કોળી, આરોપી નંબર 8 મનોજ મારવાડી, આરોપી નંબર 11 શેખ મોહમદ અઝરૂદીન અને આરોપી નંબર 20 રફીક પટેલનો સમાવેશ થાય છે. નાના ધંધા સાથે જોવાયેલા આરોપીઆ ઉપરાંત, આરોપી નંબર 9 જીવન લોનારી મજુરી કામ કરે છે અને આરોપી નંબર 10 પ્રવિણ પાટીલ સંચા મશીનમાં કામદાર તરીકે જોડાયેલા છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા આરોપી નંબર 12 હિતેષ ધરમ હીરા મજૂરી કરે છે. ખાણી-પીણી અને છૂટક વેચાણ સાથે જોડાયેલા શખ્સોમાં આરોપી નંબર 13 રઝાઉદ્દીન શેખ ઈંડાની લારી ચલાવે છે અને આરોપી નંબર 21 વિશાલ સપકાડે શાકભાજીની લારી ચલાવે છે. જ્યારે આરોપી નંબર 19 મોહસીન પઠાણ લાઇટીંગના કામ સાથે જોડાયેલો છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 9:49 am

ગોંડલ-આટકોટ રોડ પર કાર અકસ્માત, ત્રણનાં મોત:8 ફૂટની ઊંચાઇથી પુલ નીચે ખાબકતાં ભીષણ આગ લાગી, કારમાં સવાર એક બાળક સહિત ત્રણ લોકો જીવતા ભુંજાયા

ગોંડલ-આટકોટ હાઈવે પર આજે (30 જાન્યુઆરી) વહેલી સવારે એક કાળજું કંપાવી દે તેવી ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે એક કાર 8 ફૂટની ઊંચાઇથી પુલ નીચે ખાબકતાં તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક બાળક સહિત ત્રણ લોકોને બહાર નીકળવાનો મોકો મળે તે પહેલાં જ તેઓ જીવતા ભુંજાયા છે. પુલ નીચે કાર ઊંધી વળી અને આગના ગોળામાં ફેરવાઈપ્રાપ્ત વિગતો અનુસાર, સાણથલી 108 એમ્બ્યુલન્સમાં વહેલી સવારે કોલ આવ્યો હતો. જે મુજબ, એક હ્યુન્ડાઈ 'ઓરા' કાર પૂરઝડપે જઈ રહી હતી ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર રોડ પરથી નીચે ઉતરી જઈ પુલ નીચે ઊંધી ખાબકી હતી. કાર ઊંધી પડતા જ તેમાં શોર્ટ સર્કિટ અથવા ઈંધણ લીકેજને કારણે ભયાનક આગ લાગી હતી. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે અંદર સવાર મુસાફરોને બારણું ખોલવાની પણ તક મળી ન હતી. ઘટનાસ્થળે માત્ર હાડપિંજર જ બચ્યાદુર્ઘટનાની જાણ થતા જ ગોંડલ ફાયર ફાઈટરની ટીમ અને '112 જનરક્ષક'ની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બધું જ રાખ થઈ ગયું હતું. કારની અંદર તપાસ કરતા બે વ્યક્તિના માનવ હાડપિંજર મળી આવ્યા છે, જે અકસ્માતની ભયાનકતા રજૂ કરે છે. ધુમ્મસ કે ઊંઘનું ઝોકું? પોલીસ તપાસ તેજવહેલી સવારે સર્જાયેલા આ અકસ્માત પાછળ અનેક કારણોની ચર્ચા થઈ રહી છે. વહેલી સવારે હાઈવે પર છવાયેલા ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી હોઈ શકે છે. ચાલકને ઊંઘનું ઝોકું આવી જતાં કાર પુલ નીચે ઉતરી ગઈ હોવાની પણ શક્યતા છે. હાલમાં પોલીસે અકસ્માત સ્થળે પંચનામું કરી મૃતકોની ઓળખ વિધિ માટેની પ્રક્રિયા હાથ ધરી છે. કારના નંબર અને એન્જિન નંબરના આધારે માલિકની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. આ ઘટનાને પગલે ગોંડલ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અંકલેશ્વર-વાલિયા રોડ પર બ્રેક મારવા જતાં રિક્ષા પલટી, મહિલા ફસાતાં જીવતી ભૂંજાઈ, 3 લોકો દાઝ્યા અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક 12 ડિસેમ્બર સવારના સમયે એક અત્યંત કરૂણ અકસ્માત સર્જાયો હતો. બાઇક અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બંને વાહનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં રિક્ષામાં સવાર એક મહિલાનું જીવતી ભૂંજાઈ જવાથી કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. સૌથી પહેલાં બે ટુવ્હીલર વાહન એકબીજા સાથે ધડાકાભેર અથડાય છે. એ જ સમયે સામેથી એક ટ્રક આવે છે, અને ટ્રકની પાછળ એક રીક્ષા આવે છે. રીક્ષાચાલક બ્રેક મારવા જતાં કાબૂ ગુમાવી દે છે અને રીક્ષા પલટી મારી દૂર ફંગોળાઇ જાય છે. જ્યારે ટુવ્હિલર પણ ગળોટીયું ખાઇને ફેંકાય છે. રીક્ષા સાથેની આ જોરદાર ટક્કર બાદ અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠે છે. સંપૂર્ણ અહેવાલ વાંચો… આ પણ વાંચો અજમેરની હોટલમાં ગુજરાતના 3 લોકો જીવતા ભૂંજાયા:અમરેલીના દંપતી અને 3 વર્ષના પુત્રનું મોત; યુવક ચોથા માળેથી કૂદ્યો, માતાએ બાળકને બારીમાંથી નીચે ફેંક્યું લીંબડીના રણોલમાં ભીષણ આગ લાગી, 3 લોકો જીવતા ભૂંજાયા:એક વાહન અને ત્રણ મકાન ચપેટમાં આવ્યાં, જ્વલનશીલ પદાર્થથી ઘટના બની હોવાનું અનુમાન કર્ણાટકમાં સ્લીપર બસમાં આગ, 10 જીવતા ભૂંજાયા:30થી વધુ મુસાફરો સવાર હતા; પૂરપાટ ઝડપે આવતી ટ્રક ડિવાઇડર તોડીને બસ સાથે અથડાઈ, ખૌફનાક દૃશ્યો સર્જાયાં 8 બસ અને 3 કાર અથડાઈ, 13 જીવતાં ભૂંજાયા:17 થેલીઓમાં મૃતદેહોના ટુકડા લઈ જવાયા, 70 લોકો ઘાયલ, મથુરામાં ધુમ્મસના કારણે અકસ્માત

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 9:14 am

આજે સાંજે 12 વિસ્તારમાં પાણી નહીં આવે:કોટ વિસ્તારમાં આવતીકાલે પણ સવારે પાણી કાપ, બોડકદેવમાં લાઈન તૂટી જતાં પાણીનો વેડફાટ

કોતરપુર વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઇનમાં જોડાણની કામગીરી કરવાની હોવાથી આજે 30 જાન્યુઆરીના રોજ કોતરપુર વોટર વર્કસ બંધ કરવાનું છે, જેના કારણે મધ્ય ઝોન વિસ્તારમાં પાણી આવશે નહીં. શહેરના શાહપુર, દરિયાપુર, માધુપુરા, શાહીબાગ, દુધેશ્વર, જમાલપુર, ખાડિયા, રાયખડ, અસારવા, લાલદરવાજા વિસ્તારમાં સાંજે અને આવતીકાલે (31 જાન્યુઆરી) સવારે પાણી નહીં આવે અને સાંજે ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે. બીજી તરફ શહેરના બોડકદેવ વિસ્તારમાં સાંઈબાબા મંદિર રોડ પર પાણીની પાઇપલાઇન તૂટી જતા વહેલી સવારથી હજારો લિટર પાણી રોડ ઉપર વહી ગયું છે. સવારથી લાઈન તૂટી હોવા છતાં પણ તંત્રના અધિકારીઓએ પાણીની લાઈન બંધ ન કરતા પાણી રોડ પર વેડફાયું છે. અધિકારીને ધ્યાને ન આવતા હજારો લીટર પાણી વેડફાયુંઆજે 30 જાન્યુઆરીના રોજ સવારે પાણી આપવાની શરૂઆત થતાની સાથે જ બોડકદેવ વિસ્તારમાં મોકા રેસ્ટોરન્ટ પાસે સાઈબાબા મંદિર રોડ ઉપર પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી, જેમાંથી પાણી ઉછળીને બહાર આવ્યું હતું. પાણીની પાઇપલાઇન તૂટી જવાના કારણે લાખો લીટર પાણી રોડ ઉપર વહેવા લાગ્યું હતું, રોડ આખો ખરાબ થઈ ગયો હતો. બીજી તરફ આજુબાજુમાં આવેલા ફલેટો અને સોસાયટીઓમાં પણ પાણી ઓછું આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને આ બાબતે જાણ ન હોવાના કારણે પાણી પણ બંધ કરાયું નહીં અને ત્યાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ ગયો હતો. સવારે અધિકારીઓ વોર્ડમાં રાઉન્ડ લેતા હોય છે, ત્યારે સવારથી પાણી બહાર જતું હોવા છતાં પણ તેમના ધ્યાને આવ્યું ન હતું. મધ્ય ઝોન સાંજનું પાણી સપ્લાય બંધ રહેશે બીજી તરફ શહેરના દૂધેશ્વર વોટર વર્કસ-1માં નવા બનાવવમાં આવેલા 20 MLD અન્ડરગ્રાઉન્ડ સમ્પની 700મી.મી. વ્યાસની ફીડર લાઈનું 1600 મી.મી. વ્યાસ કોતરપુર મેઈન ટ્રંક લાઈનમાં જોડાણ કરવાની અને નવા બનાવાયેલા 20 MLD પંપહાઉસમાંથી નીકળતી 640પી મી.મી. વ્યાસની મેઈન હેડર લાઈનનું બુસ્ટર પંપ નં. 3 પાસે આવેલી હયાત 1200 મી.મી. વ્યાસની પાઈપલાઈ સાથે જેડાણ કરવાની કામગીરી તેમજ નવી પૂરી થયેલી કોતરપુર 20 MI.D ટાંકીનું હયાત ભૂગર્ભ ટાંકી સાથે ઈન્ટર કનેક્શનની કામગીરી કરવાની છે. આજે 30 જાન્યુઆરીના રોજ કોતરપુર વેસ્ટર્ન ટ્રંક મેઈનલાઇનમાં શટડાઉન કરવાની થતી હોવાથી મધ્ય ઝોનના તમામ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં સાંજનો પાણીનો સપ્લાય બંધ રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 9:12 am

અમિત ખૂંટ આત્મહત્યા કેસ: મુખ્ય આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર:8 મહિનાથી ફરાર રહીમ મકરાણીને કોર્ટે પોલીસ કસ્ટડીમાં સોંપ્યો

રિબડાના બહુચર્ચિત અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં આખરે કાયદાનો સકંજો મજબૂત બન્યો છે. છેલ્લા આઠ મહિનાથી પોલીસની નજરોથી બચતા ફરતા અને કોર્ટ દ્વારા 'ફરાર' જાહેર કરાયેલા મુખ્ય આરોપી રહીમ અબ્દુલભાઈ મકરાણીની ધરપકડ બાદ કોર્ટે તેના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લખનીય છે કે, પોલીસ તપાસમાં મિસ્ટર X નામના વ્યક્તિ સાથે મળી બંને મહિલાએ અમિત ખૂંટને ખોટા કેસમાં ફસાવવા કાવતરું રચ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા જૂનાગઢના દોલતપરા વિસ્તારમાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા પકડાયેલા રહીમ મકરાણીને જેતપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ડી. પરમાર દ્વારા ગત 29 જાન્યુઆરીના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે આ કેસના ઊંડા મૂળ સુધી પહોંચવા, આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની તપાસ માટે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આરોપી 31 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાંઅદાલતમાં બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ, કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે રહીમ મકરાણી 31 જાન્યુઆરીના રોજ બપોરે 4 વાગ્યા સુધી પોલીસની પૂછપરછ હેઠળ રહેશે. આ સમયગાળા દરમિયાન પોલીસ આરોપી પાસેથી આત્મહત્યા માટે ઉશ્કેરણી કરનારા પુરાવાઓ એકત્રિત કરવા પ્રયાસ કરશે. શું હતી સમગ્ર ઘટના?3 મે 2025ના રોજ રાજકોટમાં મોડેલિંગક્ષેત્રે કાર્યરત સગીરાએ અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ 5 મેના રોજ અમિત ખૂંટે ગોંડલના રીબડામાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ કેસમાં રાજદિપસિંહ જાડેજા અને તેના પિતા અનિરુદ્ધસિંહ તથા અન્ય બે આરોપીઓ સામે અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રિબડાના અમિત ખૂંટ નામના યુવકે આત્મહત્યા કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ કેસમાં રહીમ મકરાણી મુખ્ય આરોપી તરીકે સામે આવ્યો હતો, પરંતુ તે ધરપકડથી બચવા છેલ્લા 8 મહિનાથી નાસતો ફરતો હતો. ગતરોજ 29 જાન્યુઆરીએ રાજકોટ ગ્રામ્ય પોલીસની ખાસ ઝુંબેશ અંતર્ગત જૂનાગઢમાંથી તેને દબોચી લેવામાં સફળતા મળી હતી. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 108 અને 61(2) હેઠળ ગુનો નોંધાયેલો છે. તપાસના મુખ્ય મુદ્દાઓ: પોલીસ આ રિમાન્ડ દરમિયાન આરોપીના નિવેદનો અને ટેકનિકલ પુરાવાઓને આધારે કેસની કડીઓ જોડશે. આ પણ વાંચો, રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં મિસ્ટર Xની ભૂમિકા:યુવતી-સગીરા સાથે મળી હનીટ્રેપનું ષડ્યંત્ર ઘડ્યું X નામના વ્યક્તિએ મહિલાઓ સાથે મળી કાવતરું રચ્યુંવધુ જણાવતા કહ્યું હતું કે, પોલીસની પાંચ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એક સગીરા અને અન્ય મહિલાની ગોંડલ તાલુકા પોલીસ મથકમાં સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં બંનેએ કાવતરું રચ્યું હોવાની કબૂલાત આપતા જણાવ્યું હતું કે. 2મે પૂર્વે 10 દિવસ અગાઉ બંને મહિલાઓ X નામના વ્યક્તિને મળી હતી. મિસ્ટર Xએ એક વ્યક્તિને ફસાવવા પૂજાને સારી લાઇફ બની જશે અને સારી નોકરી મળશે તે પ્રકારની લાલચ આપી હતી. સાથે જ્યારે આ બનાવ બનશે ત્યારે બે વકિલો તમારી સાથે રહેશે અને મીડિયા આ કેસમાં પ્રેશર કરશે એટલે ઝડપથી ફરિયાદ પણ દાખલ થશે. કહીને X નામના વ્યક્તિએ મહિલાઓ સાથે મળી કાવતરું રચ્યું હતું. આ ષડયંત્રમાં મિસ્ટર X 1 વર્ષથી પૂજા રાજગોરના સંપર્કમાં હતો અને તેની આ કેસમાં મહત્ત્વની ભૂમિકા છે. સગીરાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી મિસ્ટર X વાત કરતોસગીરાએ ફરિયાદ નોંધાવ્યાના 10 દિવસ પહેલા સગીરાએ અમિત ખૂંટની ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ લાઇક કરી હતી. તે બાદ બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને વચ્ચે ચેટ શરૂ થઈ હતી. સગીરાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું આઇડિ અને પાસવર્ડ મેળવી મિસ્ટર X પોતે સગીરા બનીને વાત કરતો હતો. ચેટમાં વાત કરવાની હોય ત્યારે મિસ્ટર X વાત કરતો હતો જ્યારે ફોન પર વાત કરવાની હોય ત્યારે સગીરા અમિત ખૂંટ સાથે વાત કરતી હતી. પોલીસ તપાસમાં મિસ્ટર X મળ્યા બાદ અનિરુદ્ધ સિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા મામલે વધુ માહિતી સામે આવશે. આ પણ વાંચો, અમિત ખૂંટ સાથે રહીમ મકરાણી સગીરાના સો.મીડિયાથી વાત કરતો, ખોટી ફરિયાદ કરવા યુવતીઓને આઇફોન અને રૂપિયાની લાલચ અપાતી બે યુવતી અને રાજદીપ સહિત 4 સામે થઈ હતી ફરિયાદકેટલાક આરોપીઓ સામે ગોંડલ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ છે. એક આરોપી સગીરા છે. ઉપરાંત અન્ય આરોપી રહીમ મકરાણી અને અતા ઉલા ભાગેડું છે. ફરિયાદ મૂળ 04 આરોપી સામે કરવામાં આવી હતી. જેમાં અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ અને બે યુવતીનો સમાવેશ થાય છે. 05 આરોપી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જેમાં એક સગીર આરોપી છે. આ પણ વાંચો: પહેલાં સો. મીડિયા પર મિત્રતા પછી મળવા બોલાવી, હેરિયર કારમાં જ્યુસ પીવડાવી બળજબરી કરી રહીમ મકરાણી મારફતે સગીરાનો ઉપયોગ કરી અમિત ખૂંટને ફસાવવા કાવતરું કરવામાં આવ્યું હતું. રહીમ મકરાણી સગીરાના સોશિયલ મીડિયાના ID, પાસવર્ડ મેળવી અમિત ખૂંટ સાથે વાતચીત કરીને તેને ફસાવ્યો હતો. આરોપી રહીમ મકરાણી અને વકીલો દિનેશ પાતર તેમજ સંજય પંડિતે મૃતક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવવા મહત્વનો ભાગ ભજવ્યો હતો. મૃતક પાસેથી સુસાઇડ નોટ તરીકે 04 ચિઠ્ઠી મળી હતી. આ પણ વાંચો: સુસાઇડનોટ લખી દુષ્કર્મના આરોપીએ ફાંસો ખાધો, મને મરવા મજબૂર કરવામાં અનિરુદ્ધસિંહ રીબડાનો હાથ, રાજદીપ ત્રાસ આપતો' પૂજાએ સગીરાને અમિત ખૂંટ સામે પોલીસ ફરિયાદ કરવા સમજાવી હતીપૂજાએ સગીરાને અમિત ખૂંટ સામે પોલીસ ફરિયાદ કરવા સમજાવી હતી. રહીમ અને પૂજા વચ્ચે ફોન થયેલા અને પૂજા તેમજ વકીલ દિનેશ પાતર અને સંજય પંડિત વચ્ચે પણ ફોન થયેલા. રહીમે અમિત ખૂંટને ફસાવવા યુવતીઓનો સંપર્ક કર્યો અને અતા ઉલાએ એડવોકેટનો સંપર્ક કર્યો. રહીમ મકરાણીએ છોકરીને અમિત ખૂંટને ફસાવવા પ્લાન કહ્યો કે તેને ફસાવી શરીર સંબંધ બાંધીને કેસ કરવાનો તો આઈફોન અને બીજા ખર્ચાઓ મળશે. પહેલી છોકરીએ ના પાડી તો બીજી સગીર છોકરીને હાથો બનાવાઈ, કારણ કે સગીર છોકરી આ કામનું પરિણામ સમજી શકે નહીં આ પણ વાંચો: 'મને વડોદરાથી જયરાજસિંહના 3 માણસ બ્લેક સ્કોર્પિયોમાં ગોંડલ લાવ્યા', પીડિતાના મુખે અમિત સાથે દોસ્તીથી દુષ્કર્મ ને રાજરમત સુધી 'અમિત ખૂંટ પાણીના વોંકળામાં ઝાડ ઉપર લટકતો હતો'આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અનિરુદ્ધસિંહ મહીપતસિંહ, રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ સામે આપઘાતની દુષ્પ્રેરણા અને ષંડ્યંત્રની ફરિયાદ નોંધાઈ હતી. મૃતક અમિત ખૂંટના ભાઈ મનીષભાઈ દામજીભાઇ ખૂંટે ફરિયાદમાં જણાવ્યું હતું કે સવારે 6.30 વાગ્યાની આસપાસ હું મારા ઘરે હતો ત્યારે અમારા ગામના અશોકભાઇ કાનજીભાઇ ખૂંટનો મને ફોન આવ્યો હતો અને તેમણે મને કહ્યું હતું કે તમે તાત્કાલિક લોધિકા રોડ ઉપર આવેલા સોબનવાડીએ આવો. જેથી હું તરત જ વાડીએ ગયો તો ત્યાં અશોકભાઈ વાડીએ હતા અને મારો નાનો ભાઈ રાજેશ ઉર્ફે અમિત ખૂંટ પાણીના વોંકળામાં ઝાડ ઉપર દોરડા વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો. આ પછી મેં મારા કાકા અનિલભાઇ તથા ઉમેશભાઈને ફોન કરી બનાવ અંગે જાણ કરી હતી અને તાત્કાલિક વાડીએ બોલાવ્યા હતા. આ પણ વાંચો: CP ઓફિસ, હોટલ સહિતના CCTV ફૂટેજ પણ માગ્યા, અમિત ખૂંટ આત્મહત્યા-દુષ્કર્મ કેસમાં વળાંક અમિતના ખિસ્સામાંથી ચાર પેજની સુસાઇડ નોટ મળીથોડીવારમાં ગામના લોકો તથા બીજા લોકો પણ આવી ગયા હતા અને પોલીસને જાણ કરતાં તે પણ આવી હતી, જેની હાજરીમાં અમિતના મૃતદેહને ઝાડ ઉપરથી નીચે ઉતાર્યો હતો. તપાસ કરતાં અમિતના ખિસ્સામાથી ચાર ચિઠ્ઠી મળી હતી, જેમાં ગઇ વિધાનસભાની ચૂંટણી વખતે અનિરુદ્ધસિંહ મહીપતસિંહ તથા રાજદીપસિંહ અનિરુદ્ધસિંહે જમીનો પડાવી લીધેલી હોવાથી એનો વિખવાદ થતાં જે બાબતે તેમણે અમિત ઉપર હુમલો કર્યો હોઈ, જે અંગે અમિતે પોલીસ કેસ કર્યો હતો.આ પણ વાંચો: 'તમારાં સરનામાં હું વીખી ન નાખું તો જયરાજસિંહ નહીં' આ પણ વાંચો: દુષ્કર્મ, ગળાફાંસો ને રીબડા જૂથ કનેક્શન, જાણો અમિત ખૂંટ કેસનો ઘટનાક્રમ

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 8:45 am

તાપીમાં 39 કર્મચારી પર બેરોજગારીની તલવાર,:20 વર્ષની સેવા બાદ 1 ફેબ્રુઆરીથી ફરજમુક્ત થવા આદેશ

​તાપી જિલ્લા અને તાલુકા પંચાયતમાં બે દાયકાથી ઈ-ગ્રામ અને 15મા નાણાપંચ જેવી મહત્વની યોજનાઓ સંભાળતા 39 કર્મચારીઓનું ભાવિ અત્યારે અંધકારમય બન્યું છે. ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી, ગાંધીનગરના આદેશ મુજબ આગામી 1 ફેબ્રુઆરીથી આ ટેકનિકલ અને વહીવટી સ્ટાફને છૂટા કરવાની તજવીજ હાથ ધરાતા ભારે રોષ ફાટી નીકળ્યો છે. વ્યથિત કર્મચારીઓએ ભેગા મળી રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. તેમનો મુખ્ય આક્ષેપ છે કે, સરકાર સાથેનો આઉટસોસિંગ કરાર હજુ એક વર્ષ બાકી છે, તેમ છતાં પૂર્વ નોટિસ વગર 9 ઈ-પંચાયત સ્ટાફ, 13 TLE અને 17 PMU કર્મચારીઓને છૂટા કરવા તે અન્યાયી છે. નોંધનીય છે કે ગત જુલાઈ માસમાં જ DDOએ આ સ્ટાફની કામગીરી અનિવાર્ય હોવાની ભલામણ કરી હતી, છતાં ગાંધીનગરથી છૂટા કરવાનો આદેશ છૂટ્યો છે. પરિવારના અસ્તિત્વ સામે જોખમ2004થી કાર્યરત આ કર્મચારીઓ હવે મધ્યમ વયે પહોંચ્યા છે. આ ઉંમરે નવી નોકરી મેળવવી અશક્ય હોવાથી તેમના બાળકોના શિક્ષણ અને પરિવારના ગુજરાન સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે. સૌનો સાથ, સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરી સરકાર માનવીય અભિગમ અપનાવે અને આ પ્રક્રિયા સ્થગિત કરે તેવી માંગણી કરી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 8:23 am

NH-48 પર અકસ્માત, 2ના મોત:વડોદરામાં કરજણ-ધાવટ ચોકડી પરના બ્રિજ પર ઉભેલી ટ્રક સાથે બસ અથડાઈ, 10 ઈજાગ્રસ્ત

વડોદરા નેશનલ હાઇવે 48 પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કરજણ ધાવટ ચોકડી પરના બ્રિજ પર અકસ્માત થયો છે. ઔરંગાબાદથી અમદાવાદ જઈ રહેલી જય ખોડિયાર ટ્રાવેલ્સ બસ સાઇડમાં ઉભેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. બસમાં સવાર 25થી વધુ લોકોનું કરજણ ફાયર વિભાગે દોઢ કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું હતું. બસમાં 10 જેટલા ઇજાગ્રસ્ત લોકોનું રેસ્ક્યુ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ગોજારા અકસ્માતમાં બે લોકોના મોત થયાની વિગતો છે. આ મામલે કરજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 8:22 am

આસ્થાની યાત્રાનો પ્રારંભ:તાપી મૈયા પરિક્રમા પદયાત્રા ઉકાઈ પહોંચી, 64 દિવસ અને 1800 કિમી પ્રવાસ ખેડશે

શ્રદ્ધા અને ભક્તિના સંગમ સમાન ‘માં તાપી સંપૂર્ણ પરિક્રમા પદયાત્રા’ આજે નિર્ધારિત રૂટ મુજબ ઉકાઈ ખાતે આવી પહોંચતા સ્થાનિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પદયાત્રીઓએ ઉકાઈના સુપ્રસિદ્ધ હરિ હરેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જ્યાં તેમના માટે ભોજન અને વિશ્રામની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પદયાત્રા મધ્યપ્રદેશના મુલ્તાઈ (તાપી ઉદ્ગમ સ્થાન) થી શરૂ થઈ સુરત (સમુદ્ર સંગમ) અને ત્યાંથી પુનઃ મુલ્તાઈ સુધીનો આશરે 1800 કિલોમીટરનો પ્રવાસ ખેડશે. 64 દિવસ સુધી ચાલનારી આ આસ્થાની યાત્રામાં કુલ 128 પડાવ નક્કી કરવામાં આવ્યા છે, જે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ એમ ત્રણ રાજ્યોમાંથી પસાર થાય છે. હરિ હરેશ્વર મંદિરે પદયાત્રીઓનો આદરસત્કારલાંબા અંતરની પદયાત્રા કરી રહેલા શ્રદ્ધાળુઓ માટે હરિ હરેશ્વર મંદિર પરિસરમાં મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. ભક્તિમય માહોલમાં પદયાત્રીઓએ સાથે મળીને પ્રસાદી ગ્રહણ કરી વિરામ લીધો હતો. સ્થાનિક રહીશોએ પુષ્પવર્ષા અને જય તાપી મૈયાના નાદ સાથે યાત્રીઓને આવકારી સેવાભક્તિનો પરિચય આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 8:20 am

વિકાસના કામોનું ખાતમુહૂર્ત:વઘઇ અને આહવા તાલુકાના છેવાડાના ગામોને મળશે પાકા રસ્તા

વઘઇ તાલુકાના બોરીગાંવઠા ગામે ગુરૂવારના રોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભાઇ પટેલની ઉપસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ રાજ્યના ઇમરજન્સી વર્ક યોજના હેઠળ આરસીસી રોડનું ખાતમુહૂર્ત તેમજ આહવા તાલુકાના ભીસ્યા ગામે મેઇન રોડ બોરખેતથી ભીસ્યા ગામ સુધીનો માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય માર્ગોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારા નાગરિક જીવનમાં રોજિંદા યાતાયાત માટે અતિ મહત્ત્વના એવા તમામ નવિન રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં ડાંગ જિલ્લામાં પણ મહત્વના રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ રસ્તાઓની કામગીરી પૂર્ણ થવાથી વાહનચાલકો, વિદ્યાર્થીઓ, ખેડૂત તેમજ રોજગાર માટે આવનજાવન કરતાં નાગરિકોને મોટી રાહત મળશે. આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇન, આહવા તાલુકા પ્રમુખ સુરેશભાઇ ચૌધરી, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઇ ગાવિત સહિત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 8:15 am

ગંભીર અકસ્માત સર્જાયો:મટવાડ કટ પાસે લકઝરીએ બ્રેક‎મારતા પાછળ ડમ્પર અથડાયું‎

24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતો ને.હા.નં. 48 પર મટવાડ પાટિયા પાસે રાત્રે લક્ઝરી બસ ચાલક એક કારને બચાવવા જતા પાછળથી આવતા બેકાબુ ડમ્પર ચાલકે લક્ઝરીમાં અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનથી મુંબઈ જઈ રહેલ લકઝરી બસ રાત્રિના 1.30 વાગે મટવાડ ગામની સીમમાંથી પસાર થઇ રહી હતી. એ સમયે મુંબઇ તરફથી એક કાર ચાલકે મટવાડ કટ પાસે આવતી લકઝરી બસને નજર અંદાજ કરી યુ ટર્ન મારતા લક્ઝરી ચાલકે કારને બચાવવા બ્રેક મારી હતી. બરાબર આજ સમયે પાછળથી ઝડપથી આવતા ડમ્પર (નં. જીજે-5-સીયુ- 5740)ના ચાલકે લકઝરીમાં પાછળના ભાગે અથડાવી સીધી હાઇવેની બાજુમાં આવેલ ચાની લારી ઉપર ફરી વળી મટવાડ ગામના એન્ટ્રી ગેટમાં અથડાઈ હતી. ડમ્પરનો ચાલક કેબિનમાં જ ફસાયો હતો. જેને લોકોએ ભારે જહેમત બાદ સહી સલામત બહાર કાઢ્યો હતો. જોકે તેને કોઈ ગંભીર ઈજા પહોંચી ન હતી પરંતુ ડમ્પર અને ચાની લારીનો ખુરદો બોલી ગયો હતો. કહેવાય છે કે કાર ચાલક એક્ષ.હાઇવે પર ખારેલ આગળ યોગ્ય દિશા સૂચક બોર્ડના અભાવે મટવાડ સુધી આવી ગયો હતો પછી ખ્યાલ આવતા અહીંથી યુટર્ન મારતા આ અકસ્માત સર્જાયો હતો. જોકે લકઝરીમાં સવાર લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 8:13 am

વૃદ્ધે કર્યો આપઘાત:ઘેલખડીમાં યુવાન અને તવડી ગામે વૃદ્ધે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

નવસારીના ઘેલખડીમાં 43 વર્ષીય યુવાને અગમ્ય કારણસર તો જલાલપોરના તવડી ગામે વૃદ્ધે બિમારીથી કંટાળી ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. મૂળ ઓડિશાના અને હાલ નવસારીના ઘેલખડી રિક્ષા સ્ટેન્ડ પાછળ ભવાનીનગરમાં રહેતા રાજીવ વાસુદેવ સામલ (ઉ.વ. 43) એ ગત 28 જાન્યુઆરીના રોજ વહેલી સવારે પોતાના રહેણાંક મકાનમાં લોખંડના એંગલ સાથે સફેદ કાપડના કટકા વડે ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ જગદીશભાઇ માગનુરે કરતા નવસારી ટાઉન પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે. રાજીવ સામલે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ અકબંધ છે. જ્યારે બીજા બનાવમાં જલાલપોરના તવડી ગામના કણબીવાડ ફળિયામાં રહેતા 74 વર્ષીય પ્રકાશભાઇ મગનભાઇ પટેલ છેલ્લા ઘણાં સમયથી સુગર, બ્લડ પ્રેશર અને સાંધાના દુ:ખાવાની બિમારીથી પીડાતા હતા. સતત રહેતી બિમારીથી તેઓ માનસિક રીતે કંટાળી ગયા હતા. તારીખ 28 જાન્યુઆરીના રોજ તેઓ પોતાના ઘરે એકલા હતા ત્યારે ઘરના પતરાના શેડમાં આવેલી લોખંડની ચેનલ સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ લીધો હતો. મૃતકના પુત્ર તેજશભાઇ પ્રકાશભાઇ પટેલે આ અંગે પોલીસને જાણ કરતા મરોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી એએસઆઇ ગોપાળભાઇ વિરસીંગભાઇ તપાસ કરી રહ્યાં છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 8:11 am

ભાસ્કર ફોલોઅપ:આતંકી યુવાનના માસ્ટર સામે જાહેરનામા ભંગની કાર્યવાહી

મૂળ યુપીના પણ નવસારીના ઝારાવાડમાં શૂટ બનાવવાની સિલાઇનું કામ કરતા ફૈઝાન શેખ (ઉ.વ. 22)ની એટીએસ દ્વારા દેશદ્રોહનો ગુનો કર્યા બદલ અટક કરાઇ હતી.ફૈઝાન શેખને ટેલરિંગનું કામ શીખવનાર તેના ગામના અને માસ્ટર મુન્ના ઉર્ફે ઇસ્લામુદ્દીન શેખ ઉપર પણ જાહેરનામાં ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. ટાઉન પીઆઈ અશ્વિન સરવૈયા એ માહિતી આપતા જણાવ્યું કે આતંકવાદી પ્રવૃત્તિ કરનાર ફૈઝાન શેખની અટક કર્યા બાદ તે જે જગ્યાએ સિલાઈ કામ કરી મોબાઈલ ઉપર આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા રહેતો હોય જેની જાણ તેના ગુરુ અને કામ આપનાર તેના જ ગામના ઇસ્લામુદિન શેખ ઉપર પણ કારીગરો રાખ્યાની માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં આપી ન હતી. જેને લઇ કારીગરોની માહિતી ન આપનાર તેમની સામે જાહેરનામા ભંગની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 8:08 am

રક્તપિત દિવસ વિશેષ:5 વર્ષમાં 1287 દર્દીઓ થયા રક્તપિત્ત મુક્ત

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 30 જાન્યુઆરીને વિશ્વ રક્તપિત્ત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ સમાજમાં રક્તપિત્ત પ્રત્યે જાગૃતિ લાવવી, રોગચાળાને અટકાવવો અને દર્દીઓ પ્રત્યેના ભેદભાવને દૂર કરવાનો છે. એક સમયે અસાધ્ય ગણાતો આ રોગ હવે આધુનિક તબીબી વિજ્ઞાનને કારણે સંપૂર્ણપણે મટી શકે તેમ છે. નવસારી જિલ્લામાં રક્તપિત્ત નાબૂદીના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો પાંચ વર્ષમાં કુલ 1287 દર્દીઓ મળી આવ્યા હતા, જેમણે પોતાની સારવાર પૂર્ણ કરી રોગમુક્ત બન્યા છે. ડિસેમ્બર-2025 સુધીમાં 255 નવા દર્દીઓ નોંધાયા છે. આ 255 દર્દીઓમાંથી 151 દર્દીઓ ટૂંકા ગાળામાં જ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે બાકીના દર્દીઓની સારવાર હાલ પ્રગતિમાં છે. આ સાથે જ જિલ્લામાં તમામ સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સબ-સેન્ટરો પર એમડીટી સારવાર તદ્દન મફત આપવામાં આવે છે. જો કોઈને ચામડી પર શંકાસ્પદ ડાઘ જણાય, તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગ અને નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ રોગ કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે, જે મુખ્યત્વે ચામડી અને જ્ઞાનતંતુઓને અસર કરે છે. ચામડી પર આછા રંગના ડાઘ અને ત્યાં સ્પર્શ ન પરખાવો એ તેના મુખ્ય લક્ષણો છે. વહેલું નિદાન અને મલ્ટી ડ્રગ ટ્રીટમેન્ટ દ્વારા કોઈપણ વિકૃતિ કે અપંગતા વગર આ રોગને જડમૂળથી મટાડી શકાય છે. રક્તપિતની અસરગ્રસ્ત પ્રત્યે જાગૃતિ લાવવા માટે 1954માં વિશ્વ રક્તપિત દિવસની શરૂઆત થઈ છે. ભારતમાં પણ 30મી જાન્યુઆરીએ ગાંધીજીની પુણ્યતિથી નિમીત્તે તે દિવસને એન્ટી લેપ્રસી ડે તરીકે જાહેર કરવામાં આવેલ છે. શું છે સત્ય અને શું છે અફવા ? સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા હોય છે કે રક્તપિત્ત અડવાથી કે હાથ મિલાવવાથી ફેલાય છે, પરંતુ તબીબી દૃષ્ટિએ આ વાત તદ્દન ખોટી છે. રક્તપિત્ત એ માઇક્રોબેક્ટેરિયમ લેપ્રે નામના જીવાણુથી થતો રોગ છે. તે માત્ર લાંબા સમય સુધી સારવાર ન લીધેલ દર્દીના શ્વાસોશ્વાસના સંપર્કથી ફેલાઈ શકે છે, પરંતુ સાથે ઉઠવા-બેસવાથી કે સ્પર્શથી ફેલાતો નથી.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 8:08 am