SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
...

ગ્રાહકોને ભારે મુશ્કેલી:બુકિંગ છતાં સિલિન્ડર નહીં અપાતા ગોડાઉન પર હોબાળો

એકતરફ જિલ્લા પુરવઠા તંત્ર ગેસ સિલિન્ડરનો પુરતો સ્ટોક હોવાનો અને સ્થિતિ સામાન્ય હોવાના દાવા કરી રહ્યું છે બીજીતરફ ગેસ એજન્સી તરફથી ગ્રાહકોને સમય પર ગેસ સિલિન્ડર પુરા પાડવામાં નહીં આવતા હોવા મામલે સેક્ટર-30માં આવેલા ગેસ એજન્સીના ગોડાઉન પર ભારે હોબાળો મચી ગયો હતો. તંત્રના અધિકારીઓ સબ સલામતનો પોકાર ચેમ્બરોમાં બેસીને કરી રહ્યા છે જ્યારે સ્થળ પર સ્થિતિ અલગ છે. ગ્રાહકોના જણાવ્યા પ્રમાણે અગાઉથી બૂકીંગ કરાવીને મોબાઇલ પર તે માટેનો ઓથેન્ટિકેશન કોડ મળ્યો હોય તેવા ગ્રાહકો સિલિન્ડર લેવા માટે પહોંચ્યા હતા પરંતુ કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં સિલિન્ડર મળ્યો ન હતો. એજન્સીના માણસો દ્વારા સર્વર ડાઉન છે અને કેવાયસી થયું નથી તેવા કારણો દર્શાવીને ગ્રાહકોને રીતસરના પરેશાન કરી પરત મોકલવામાં આવ્યા હતા. કલાકો સુધી લાઇનમાં ઉભા રહીને કંટાળેલા ગ્રાહકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, તાત્કાલિક પોલીસ પહોંચી જતા સ્થિતિ થાળે પડી હતી. યુદ્ધની સ્થિતિમાં ગેસ સિલિન્ડરોની અછત વચ્ચે ગાંધીનગરનું વહીવટી તંત્ર માત્ર વાતો કરી રહ્યું છે પરંતુ વાસ્તવિકતા જુદી જોવા મળે છે. સમગ્ર તંત્ર હાલ ચાર્જમાં ચાલી રહ્યું છે. કલેક્ટર ચાર્જમાં છે અને પુરવઠા અધિકારી પણ ચાર્જમાં છે. જેના કારણે એજન્સીઓમાં તપાસની પણ કાર્યવાહી થતી નથી. યોગ્ય તપાસ કર્યા વિના કે પરિસ્થિતિ જાણ્યા વિના જ અધિકારીઓ દ્વારા સબ સલામતનો રીપોર્ટ સરકારમાં કરી દેવામાં આવે છે. જેથી ધીમે ધીમે શહેરમાં સ્થિતિ વણસી રહી છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:28 am

વાતાવારણમાં પલટો:વહેલી પરોઢે 60 કિમીની ઝડપે ફુંકાયેલા વાવાઝોડાએ શહેરને ધમરોળ્યું, મોડી સાંજે માવઠું

પશ્ચિમ ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર રાજ્યના વાતાવારણમાં પલટો આવ્યો છે જેની તીવ્ર અસર ગાંધીનગરમાં પણ જોવા મળી છે. ગુરુવારે વહેલી પરોઢે 4 વાગ્યાથી 50થી 60 કિલોમીટરની ઝડપે પવન સાથે ફુંકાયેલા વાવાઝોડાએ સમગ્ર શહેરને ઘમરોળી નાખ્યું હતું. બે કલાક સુધી ચાલેલી આંધી બાદ દિવસ દરમિયાન વાતારણ સામાન્ય અને વાદળછાયુ રહ્યું હતું પરંતુ સાંજે ફરી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ કમોસમી વરસાદ પડ્યો હતો. વાતાવરણમાં પલટો આવતા જનજીવન પર અસર પડી હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર પાકિસ્તાન ઉપર 3.1 કિમી ઊંચાઈએ આવેલા ઉપરના હવાના સાઇકલોનિક સર્કુલેશન સાથે જોડાયેલ પશ્ચિમ ડિસ્ટર્બન્સ અને પશ્ચિમ રાજસ્થાન ઉપર રહેલા નીચલા સ્તરના સર્ક્યુલેશનને કારણે રાતોરાત ભેજ અને અસ્થિરતા ઉદભવી છે. માર્ચ મહિનાની આ સામાન્ય સ્થિતિએ સ્થિર ગરમ હવાને ઝડપથી સંવહન પ્રવૃત્તિમાં ફેરવી દીધી, જેના પરિણામે ગાંધીનગર, અમદાવાદ અને કલોલ વિસ્તારોમાં વહેલી સવારે પવન અને ગાજવીજની સ્થિતિ સર્જાઇ હતી. હવામાન ખાતા દ્વારા અગાઉથી જ 18થી 20 માર્ચ દરમિયાન હવામાનમાં ફેરફારની આગાહી કરવામાં આવી હતી. ભારે પવનથી અનેક સ્થળોએ ઝાડ પડી જવાના કિસ્સા બન્યા હતા. વહેલી પરોઢે જ લોકો સુઇ રહ્યા હતા ત્યારે તીવ્ર ઝડપે પવન ફુંકાયો હતો અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારબાદ સાંજના સમયે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો હતો. ભારે પવન અને કમોસમી વરસાદને કારણે ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થઇ ગયા છે. તાપમાન 2.6 ડિગ્રી ગગડી ગયુંએકતરફ શરૂઆતમાં જ ઉનાળો આકરો મિજાજ બતાવી રહ્યો હતો અને તાપમાન 40 ડિગ્રી ઉપર પહોંચી ગયું હતું ત્યારે ધીમે ધીમે ગરમી વધવાના અણસાર હતા તેવામાં જ હવામાનમાં પલટો આવતા છેલ્લા 24 કલાકમાં જ લઘુતમ તાપમાન 2.6 ડિગ્રી જેટું ઘટીને 20 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 1.2 ડિગ્રી ઘટીને 34.6 ડિગ્રીએ રહ્યું હતું. વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયોવહેલી સવારે ભારે પવન ફૂંકાતા શહેરના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઇ ગયો હતો. સરગાસણ ટીપી-9 સહિતના અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી. જોકે વાવાઝોડાની સ્થિતિ સામાન્ય થયા બાદ ફરી વીજ પૂરવઠો પૂર્વવત થઇ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:27 am

સમસ્યા:શહેરમાં મેટ્રો સ્ટેશન પાર્કિંગનો મામલો ત્રણ વિભાગ વચ્ચે ફસાયો, GMCનું ટેન્ડર લટક્યું

ગાંધીનગરમાં મેટ્રો રેલ મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીના પૂર્ણ રૂટ પર કાર્યરત થઇ ગઇ છે હવે મેટ્રોને આનુસંગિક સુવિધા એવી પાર્કિંગ પ્લેસ વિકસાવવાની કામગીરીનો મુદ્દો ત્રણ વિભાગો વચ્ચે ફસાયો છે. જેના કારણે પાર્કિંગની સુવિધા ઉભી કરવાની બાબત અટવાઇ ગઇ છે. આ મામલે મહાનગરપાલિકા દ્વારા સૌથી પહેલા આગેવાની લઇને આયોજન કરાયું હતું પરંતુ માર્ગ અને મકાન વિભાગ અને મેટ્રો તંત્ર દ્વારા પણ પાર્કિંગ પ્લેસ વિકસાવવાની વાત કરી રહ્યા છે. આ મુદ્દે હવે કોણ પાર્કિંગ પ્લેસની સુવિધા નાગરિકોને આપશે તેનો નિર્ણય થયો નથી ત્યાં સુધી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી પણ અટકી પડી છે. મહાનગરપાલિકાએ તો ટેન્ડર પણ બહાર પાડી દીધું હતું પરંતુ હાલ કામ શરૂ થઇ શક્યું નથી. ગાંધીનગરથી અમદાવાદ સુધી મોટા પ્રમાણમાં મુસાફરો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, વેપારી વર્ગ મેટ્રોમાં અવરજવર કરી રહ્યા છે ત્યારે તેમના વાહનોના પાર્કિંગ માટે મેટ્રો સ્ટેશનો પાસે સુવિધા હોવી જરૂરી છે. મેટ્રો તંત્ર દ્વારા આ મામલે સ્ટેશન બનાવ્યા ત્યારે કોઇ આયોજન કરાયું ન હતું. સેક્ટર વિસ્તારમાં આસપાસની જગ્યા માર્ગ અને મકાન વિભાગ હસ્તક છે પરંતુ આ વિભાગે પણ પાર્કિંગની જગ્યા માટે કોઇ આયોજન કર્યું ન હતું. બીજીતરફ મહાનગરપાલિકાએ આગેવાની લઇ પ્રથમ તબક્કે સેક્ટર-1 મેટ્રો સ્ટેશન ખાતે પાર્કિંગની સુવિધા માટે મહાનગરપાલિકા દ્વારા 1.12 કરોડના ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા હતા. આ કામગીરી પણ શરૂ કરવાની તૈયારી કરી દેવાઇ હતી. પરંતુ હવે માર્ગ અને મકાન વિભાગે પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવાની તૈયારી બતાવી છે. જમીન તેની હોવાથી અન્ય વિભાગ કશું કરી શકે તેમ નથી. બીજીતરફ મેટ્રો તંત્ર પણ સ્ટેશન આસપાસ પાર્કિંગની સુવિધા માટે પોતે જ તૈયારી કરી રહ્યું છે. 19 સ્થળોએ પાર્કિંગની સુવિધાની જાહેરાત કરાઈનાગરિકોને મેટ્રો સ્ટેશનો પર પાર્કિંગની સુવિધા આપવા માટે મહાનગરપાલિકા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરીને 9 મેટ્રો સ્ટેશન પાસે 19 સ્થળોએ ટુ વ્હીલર અને ફોર વ્હીલર મળીને 2100 વાહનો માટે પાર્કિંગની સુવિધા વિક્સાવવાની જાહેરાત કરાઈ હતી. હાલ એકપણ મેટ્રો સ્ટેશન પર પાર્કિંગની સુવિધા નથીતપોવન સર્કલથી લઇને મહાત્મા મંદિર સુધીના તમામ મેટ્રો સ્ટેશન પર હાલ પાર્કિંગની કોઇ વ્યવસ્થા નથી. આ માટે આયોજન થયું હતું પરંતુ ત્રણ વિભાગો વચ્ચે મામલો અટવાતા હવે પાર્કિંગ ક્યારે બનશે અને કોણ બનાવશે તે બાબત અનિશ્ચિત બની ગઇ છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:26 am

બેઠક:તંત્રની ખામીને કારણે નાગરિકોના કામો અટકવાં ન જોઇએ: હર્ષ સંઘવી

ગાંધીનગર જિલ્લા આયોજન મંડળની બેઠક નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં વર્ષ 2026-27 દરમિયાન જિલ્લામાં કરવામાં આવનાર વિકાસ કાર્યોનું આયોજન કરાયું હતું તેમજ તેને મંજૂરી અપાઈ હતી. આગામી વર્ષ માટે 9.50 કરોડના ખર્ચના 371 કામોને મંજૂરી અપાઇ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લાના તમામ અધિકારીઓને જાહેર જનતાના એક પણ કામમાં વિલંબ ના થાય અને કોઈ પણ ટેકનિકલ કે નાની એરરના કારણે જનતાના હિતના કામો અટકાય નહીં તે માટે તાકીદ કરી હતી. તેમણે તમામ અધિકારીઓને સંકલન થકી જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ઝડપી રીતે પૂર્ણ કરવા સહયોગ સાધવા જણાવ્યું હતું. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 15 % વિવેકાધીન તાલુકા કક્ષાની 721 લાખ, 15% ખાસ અંગભૂત હેઠળ 79 લાખ તથા નગરપાલિકા કક્ષાની 150 લાખ ગ્રાન્ટ અંતર્ગત કુલ 950 લાખના કુલ 371 કામમાંથી શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા, પાણી પુરવઠા, ગંદા વસવાટોની સુધારણા, વીજળીકરણ, ભૂમિ સંરક્ષણ, પોષણ વગેરે વિભાગ અંતર્ગતના કુલ 363 વિકાસ કાર્યો માટે 934.23 લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:26 am

આયોજન:વીવીઆઇપી કોન્વોય માટે GMC આધુનિક રેસ્ક્યૂ વ્હિકલ ખરીદશે

ગાંધીનગર રાજ્યનું પાટનગર હોવાથી સતત વીવીઆઇપી મૂવમેન્ટ રહે છે. વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને અન્ય વીવીઆઇપી મહાનુભાવોના કાફલામાં સમાવેશ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ઇમરજન્સી અને રેસ્ક્યુ સુવિધા સાથેના બે અદ્યતન કોન્વોય વાહનો ખરીદવામાં આવશે. આ બંને વાહનો ફાયર બ્રિગેડને અપાશે. પ્રોટોકોલ પ્રમાણે આ પ્રકારના વાહનો વીવીઆઇપી મૂવમેન્ટ વખતે તેમના કોન્વોયમાં રાખવાના હોય છે. હાલ આ પ્રકારના બે વાહનો છે પરંતુ નવી અદ્યતન સુવિધા સાથેના 4 બાય 4 એસયુવી ટાઇપ મજબૂત કોન્વોય વ્હીકલ ખરીદવાની પ્રક્રિયા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. આ કન્વોય વાહનોમાં આધુનિક ટેક્નોલોજી સાથે વિવિધ પ્રકારના રેસ્ક્યુ અને ફાયરફાઇટિંગ સાધનો મૂકવામાં આવશે. ખાસ કરીને તેમાં હાઇડ્રોલિક કટર અને કોમ્બી ટૂલ્સ રહેશે, જે વાહન અકસ્માતમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે મેટલ કાપવા, ફેલાવવા અને લિફ્ટિંગ માટે ઉપયોગી બનશે. વાહનમાં પોર્ટેબલ CAFS (Compressed Air Foam System) પણ આપવામાં આવશે, જે શરૂઆતના તબક્કામાં આગ બુઝાવવા માટે ખૂબ અસરકારક રહેશે અને ઓછા સમયમાં ફોમ છાંટીને આગને નિયંત્રિત કરી શકશે. તે ઉપરાંત, પેટ્રોલ ઓપરેટેડ ચેઇન સો અને ડાયમંડ ચેઇન સો જેવી સાધનો રાખવામાં આવશે, જે ઝાડ, કોંક્રિટ અથવા અન્ય અવરોધોને કાપવા માટે ઉપયોગી બનશે. વાહનમાં મલ્ટી-ફંક્શનલ હૂક સિસ્ટમ રહેશે, જેમાં ફાયર એક્સ, હેમર, શોવલ, સો અને અન્ય ટૂલ્સ એક જ કિટમાં ઉપલબ્ધ રહેશે, જેથી આપત્તિ સ્થળે તરત જ વિવિધ પ્રકારની કામગીરી કરી શકાય. સાથે જ, 2 ટન ક્ષમતા ધરાવતો ઇલેક્ટ્રિક વિન્ચ પણ ફિટ કરવામાં આવશે, જે ભારે વસ્તુઓ ખેંચવા અથવા અકસ્માતમાં ફસાયેલા વાહનોને હટાવવા માટે ઉપયોગી રહેશે. વીવીઆઇપી રૂટમાં કોન્વોયના વાહનોનો આંતરિક અકસ્માત, રૂટ પર અન્ય વાહનોનો અકસ્માત કે આગ જેવા બનાવ બને ત્યારે આ કન્વોય વાહનોનો મુખ્ય ઉપયોગ રેસ્ક્યુ અને રાહત કામગીરી માટે થઇ શકશે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:25 am

વાતાવરણમાં પલટો થતાં જનજીવન પ્રભાવિત થયું:મોરબી-રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર, પાક-મિલકતોને નુકસાન‎

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે મોરબી અને રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને તેજ પવન સાથે કમોસમી વરસાદી ઝાપટાં પડતાં જનજીવન પ્રભાવિત થયું હતું. બુધવાર રાતથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયો વહેલી સવારથી પવનની ગતિ તેજ બનતા અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઊડી હતી. ગુરુવારે બપોર બાદ અનેક તાલુકા અને શહેરોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ કમોસમી વરસાદે ખાસ કરીને ખેતી પર અસર કરી છે. અનેક સ્થળોએ તૈયાર પાક પવનથી ઢળી પડ્યા હતા અને કાપણી કરેલો માલ ભીંજાઈ જતાં ખેડૂતોમાં ચિંતા ફેલાઈ હતી. બીજી તરફ, શહેરોમાં વૃક્ષો ધરાશાયી થવા, હોર્ડિંગ્સ તૂટી પડવા, પતરાં ઉડવા જેવી ઘટનાઓ સામે આવી હતી. વીજ પુરવઠો પણ અનેક વિસ્તારોમાં ખોરવાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ આ બદલાયેલા હવામાનને કારણે ખેડૂતો, વેપારીઓ, જનતા પર અસર જોવા મળી રહી છે. ઉપલેટાના પ્રાંસલા ગામે વીજળી પડતાં માતા સહિત ત્રણ ઇજાગ્રસ્તતાલુકાના પ્રાસલા ગામે વરસાદી માહોલ દરમિયાન ખેતરમાં કામ કરતા શ્રમિક પરિવાર પર વીજળી પડતાં માતા સહિત ત્રણ જણા ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં મહિલાની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા. માહિતી મુજબ, પ્રાસલા ગામે ખેતરમાં કામ કરી રહેલા રમાબેન રાણાભાઈ ચૌહાણ તથા તેમના બે પુત્રો પર અચાનક વીજળી ત્રાટકી હતી. ઘટનામાં ત્રણેને ઇજાઓ પહોંચતા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ રમાબેનની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા, જ્યારે બંને પુત્રોની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. લીલાખા-સુલતાનપુર રોડ પર વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહાર ખોરવાયોલીલાખા-સુલતાનપુર રોડ પર ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. માર્ગ પર વૃક્ષ પડતાં થોડા સમય માટે અવરજવર સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ હતી અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતા ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ટીમ દ્વારા JCB મશીનની મદદથી રસ્તા પર પડેલું વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. થોડા સમય બાદ માર્ગ પરથી અવરોધ દૂર થતાં વાહનવ્યવહાર ફરીથી યથાવત કરવામાં આવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. પંથક મુજબ વિગતો: નોંધાયેલ વરસાદ (મીમી) મોરબી જિલ્લામાં ખેતીને અસર તજજ્ઞનો મત: આ વરસાદ ખેડૂતો માટે અત્યંત નુકસાનદાયક સાબિત થઈ શકે છે કારણ કે ઘઉં વરીયાળી અને જીરુ સહિતના પાકને પવન એક તરફ નમાવી દે છે. ખાસ કરીને તૈયાર પાક અને કાપણી કરેલા માલને ભારે ફટકો પડે છે. - ડો. ગનીભાઈ પટેલ, કૃષિ તજજ્ઞ

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:20 am

હોસ્પિટલના બગીચામાં દારૂની મહેફિલ:દરરોજની 450 દર્દીની OPD ધરાવતી જિલ્લાની ગાંધી હોસ્પિટલના બગીચામાં દારૂની કોથળીઓ જોવા મળી

સુરેન્દ્રનગરની સૌથી મોટી ગણાતી ગાંધી હોસ્પિટલ હાલ તેની સારવાર માટે ઓછી અને અસામાજિક તત્વોના ત્રાસ માટે વધુ ચર્ચામાં આવી છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકો જ્યાં આશા સાથે સારવાર માટે આવે છે, ત્યાં બગીચામાં જ દારૂની મહેફિલો જામતી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ગાંધી હોસ્પિટલમાં દૈનિક 450થી વધુ દર્દીની ઓપીડી નોંધાય છે. હોસ્પિટલમાં પ્રસૂતિ વિભાગ હોવાથી મોટી સંખ્યામાં મહિલા દર્દીઓ અને નવજાત શિશુઓ પણ અહીં હોય છે. દૂર-દૂરથી આવતા પરિવારજનો હોસ્પિટલના બગીચાનો ઉપયોગ આરામ કરવા કે જમવા માટે કરે છે, પરંતુ આ જ બગીચો હવે ભયનું સ્થાન બની ગયો છે. ગાંધી હોસ્પિટલના બગીચામાં ગમે ત્યાં નજર નાખો ત્યાં દેશી દારૂની ખાલી કોથળીઓ દ્રશ્યમાન થાય છે. આવારા તત્વો જાહેરમાં અહીં દારૂ પીવા માટે આવતા હોવાથી દર્દીઓના પરિવારજનોમાં ભારે રોષ અને ભય ફેલાયો છે. ગરીબ દર્દીઓ માટેના આ આશીર્વાદરૂપ સ્થળને આવારા તત્વોએ અડ્ડો બનાવી દીધું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં રાત્રિના સમયે સિક્યુરિટીનો સદંતર અભાવ જોવા મળે છે. તંત્ર દ્વારા કોઈ જ કડક પગલાં લેવામાં ન આવતા અસામાજિક તત્વો બેફામ બન્યા છે. જ્યાં દર્દીઓને શાંતિ મળવી જોઈએ, ત્યાં અશાંતિ અને ગંદકીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે ઇન્ચાર્જ સીડીએમઓ ડો. જયદીપ ગોસાઇએ જણાવ્યુ કે, હું બે દિવસ ઇન્ચાર્જમાં છું, આ બાબતે તપાસ સાથે કાર્યવાહી કરાશે. રાષ્ટ્રપિતા ગાંધીજીના ચશ્મા પણ ગાયબસુરેન્દ્રનગરની આ મોટામાં મોટી હોસ્પિટલ છે, જ્યાં રાષ્ટ્રપિતા ગાંધીજીના નામે હોસ્પિટલ તો છે પણ તેમના ચશ્મા પણ ગાયબ છે. એક બાજુ સ્વચ્છતાના દાવા થાય છે, પણ વાસ્તવિકતા એ છે કે આ હોસ્પિટલ દારૂ પીવાનો અડ્ડો બની ગઈ છે. રાત્રે સિક્યુરિટીના નામે મીંડું છે અને તંત્ર ઘોર નિદ્રામાં છે.- સુનિલ રાઠોડ

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:10 am

એસટી બસ ફસાઈ:હળવદમાં બસ સ્ટેશન પાસે ‎વરસાદી પાણીમાં બસ ફસાઈ‎

હળવદ નગરપાલિકા પાસે બે દિવસ પહેલા જ કોંગ્રેસ દ્વારા રસ્તા નું કામ બંધ હોવાના કારણે વિરોધ કર્યો હતો. ત્યારે ગુરુવારે વરસાદ પડતા વરસાદી પાણી રોડ પર ભરાઈ જતા મોરબી હળવદ એસટી બસ ફસાઈ ગઈ હતી. વરસાદી પાણીનો નિકાલ થતાં ત્યારબાદ એસટી બસ રવાના થઈ હતી. સદ નસીબે કોઈ જાનહાની ટળી હતી. હવામાન વિભાગની વરસાદ અને વાવાઝોડાની આગાહીના પગલે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડું અને વરસાદ પડ્યો હતો . ત્યારે હળવદમાં પણ વરસાદના પગલે હળવદ નગરપાલિકા સામે બસ સ્ટેશન રોડ ઉપર વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે બે દિવસ પહેલા જ કોંગ્રેસ દ્વારા રસ્તાનું કામ અધૂરું રહેવાના કારણે લોકો પરેશાન છે. ત્યારે રસ્તાના કામ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા એસટી બસ ફસાઈ ગઈ હતી . પરંતુ થોડીવાર બાદ પાણીનો નિકાલ થતાં એસટી બસ જતી રહી હતી. પરંતુ સદનશીબે કોઈ જાનહાની ટળી હતી. હળવદમાં વૃક્ષો ધરાશાઈ, ગ્રામ્ય વિસ્તારમાં પણ નુકશાન વાવાઝોડાના પગલે હળવદની સરા ચોકડીએ તેમજ બસ સ્ટેશન પાછળની હિલોળી હનુમાનજી મંદિરના પટાંગણમાં આવેલ વૃક્ષ ધરાશય થતા સામે રહેતા દેવસીભાઈ છગનભાઈ પરમાર ઘરની સામે પાકૅ કરેલ છકડો રીક્ષાને નુકશાન થયું હતું, તેમજ ટીકર રણ પંથકમાં અગરિયાના સોલાર તેમજ મીઠુંના પાટાને પણ ભારે નુકસાની થઈ હતી. આમ હળવદ તાલુકાના ચરાડવા, ઘનશ્યામપુર, ભલગામડા, દીઘડીયા, કેદારીયા વિસ્તારોમાં વૃક્ષો ધરાશય થયા હતા.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:06 am

ડીજીપી કપ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું:સુરેન્દ્રનગરના યજમાન પદે ગુજરાત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે ડીજીપી કપ ચેસ ટૂર્નામેન્ટ સંપન્ન

ઝાલાવાડની ધરતી પર ગુજરાત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે ખેલદિલી, તેજ બુદ્ધિ અને સચોટ વ્યૂહરચનાનો અદભૂત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના આંગણે તાજેતરમાં 16 થી 18 માર્ચ દરમિયાન ‘ડીજીપી કપ ચેસ ટુર્નામેન્ટ 2025-26નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ સુધી ચાલેલી આ સ્પર્ધામાં રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પોલીસ ખેલાડીઓએ શતરંજના બોર્ડ પર પોતાની ચાલબાજી બતાવી હતી. સામાન્ય રીતે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં વ્યસ્ત રહેતા પોલીસ કર્મચારીઓ આ વખતે શતરંજના રાજા-વજીરની રમતની રણનીતિમાં માહિરતા બતાવી હતી. આ ટૂર્નામેન્ટમાં ગુજરાતના ખૂણેખૂણેથી કુલ 46 જેટલા રમતવીર પોલીસ જવાનો અને અધિકારીઓએ ભાગ લીધો હતો. સમગ્ર સ્પર્ધા દરમિયાન કુલ 7 રાઉન્ડ રમાયા હતા, જેમાં દરેક રાઉન્ડમાં પ્રતિસ્પર્ધા ખૂબ જ કઠિન અને રસાકસીભરી રહી હતી. પોલીસ કર્મીઓમાં રહેલી બૌદ્ધિક ક્ષમતા અને ધૈર્યની કસોટી આ ટૂર્નામેન્ટમાં જોવા મળી હતી. સ્પર્ધાના અંતે વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કચ્છ-ભુજ જિલ્લાના સંજયભાઈ વેલજીભાઈએ શાનદાર દેખાવ કરી પ્રથમ ક્રમ હાંસલ કરી ચેમ્પિયન ટ્રોફી જીતી લીધી હતી. જ્યારે અમરેલીના સમીરભાઈ એ. ખાન બીજા ક્રમે અને રાજકોટ સીટીના ધનરાજસિંહ દિલીપસિંહ ત્રીજા ક્રમે વિજેતા જાહેર થયા હતા. રાજકોટ રેન્જમાં પ્રથમ અને ગુજરાતમાં પાંચમો સુરેન્દ્રનગર સીટી એડીવીઝન પોલીસ સ્ટેશનના વિજયસિંહ એ પરમારહાંસલ કર્યો હતો. સમાપન સમારોહમાં વિજેતાઓને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ આયોજનનો મુખ્ય હેતુ પોલીસ વિભાગના કર્મચારીઓમાં એકતા, સકારાત્મક ઊર્જા અને માનસિક સ્વસ્થતા વધારવાનો હતો. તમામ સહભાગી ખેલાડીઓને તેમની ખેલદિલી બદલ જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:04 am

માંગરોળ ગામ પાસે પરિક્રમાવાસીઓને રોકી દેવાયાં:નર્મદાની પંચકોશી પરિક્રમાને વાવાઝોડાનું વિધ્ન‎600 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા‎

નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાના પ્રથમ દિવસે જ વાવાઝોડાનું વિધ્ન નડયું હતું. ભરૂચ અને નર્મદા જિલ્લાના વાતાવરણમાં મોડી સાંજે પલટો આવતાં 30 કિમીથી વધુની ઝડપે વાવાઝોડું ફુંકાયું હતું. વાવાઝોડાના પગલે નર્મદા જિલ્લામાં ચાલી રહેલી પંચકોશી પરિક્રમા અટકાવી દેવામાં આવી છે. તિલકવાડા અને શહેરાવ ઘાટ વચ્ચે બનાવેલો હંગામી પુલ બંધ કરી દેવાયો હતો. 600 જેટલા પરિક્રમાવાસીઓ અટવાય જતાં તેમને બોટ મારફતે સલામત કિનારે લાવી આસપાસના આશ્રમો તથા મંદિરોમાં આશરો આપવામાં આવ્યો છે. વાવાઝોડાના પગલે પરિક્રમાના રૂટ પર બનાવવામાં આવેલાં મંડપો ઉડી ગયાં હતાં. બે કલાક સુધી પરિક્રમા રોકી રાખવામાં આવી હતી. એક કલાક સુધી વીજળી પર ડુલ રહેતાં અરાજકતા ફેલાઇ હતી. નર્મદા પરિક્રમા 19 મી માર્ચથી વેહલી સવારથી શરૂ થઈ હતી.ત્યારે 19 મી એ રાત્રિના 8:30 વાગ્યાની આસપાસ વાવાઝોડા સાથે પવન ફૂંકાતા પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુઓને તકલીફોનો સામનો ન કરવો પડે એ માટે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર ખડેપગે રહી મદદે આવ્યું હતું. રાબેતા મુજબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ 19 મી એ રાત્રીએ નર્મદા પરિક્રમા કરવા માટે આવ્યા હતા. વાવાઝોડા સાથે પવન ફૂંકાતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા રામપુરા કીડી મકોડી ઘાટ આવેલા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને રામપુરા આસપાસના ઘરો અને આશ્રમોમાં શિફ્ટ કરાયા હતા. એ દરમિયાન સામે પાર જવા માટેનો હંગામી પુલ હાલ પૂરતો બંધ કરાયો છે.તો બીજી બાજુ બોટો પણ બંધ કરવાના આદેશ અપાયા હતા પરંતુ તિલકવાડા તરફથી રામપુરા કીડી મકોડી ઘાટ તરફ આવી રહેલા 500 થી 600 શ્રદ્ધાળુઓ અટવાઈ જવાની ભીતિને લીધે એ તમામ લોકોને બોટ દ્વારા સામે પાર લઈ જવાયા હતા. નર્મદા પરિક્રમા 19 મી માર્ચથી વેહલી સવારથી શરૂ થઈ હતી.તો વાવાઝોડાને લીધે નર્મદા પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે એ માટે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ ખડેપડે રહ્યું હતું. બે કલાક સુધી પરિક્રમા રોકી રાખવામાં આવી હતી. માંગરોળથી આગળ કોઇને જવા દેવામાં આવ્યાં ન હતાં. વાવાઝોડુ નરમ પડી જતાં પરિક્રમા ફરી શરૂ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:00 am

શિયાળુ પાકને નુકસાનની ભીતિ:ભાવપરા, ટુકડા,મિયાણી,વડાળા સહિતના ગામોમાં વરસાદી છાંટા

હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યના અમુક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે પોરબંદરમાં પણ ભારે વરસાદની આગાહી વચ્ચે બરડા પંથકના ભાવપરા, ટુકડા,મિયાણી,વડાળા સહિતના ગામોમાં વરસાદી છાંટા પડ્યા હતા.જેને લઈને ખેડૂતોના તૈયાર શિયાળું પાકને નુકશાનની ભીતિ જોવા મળી હતી તો પાક બચાવવા ખેડૂતોમાં દોડધામ મચી હતી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 19 થી 21 માર્ચ સુધીમાં રાજ્યના અમુક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે આ આગાહીને પગલે પોરબંદર જિલ્લામાં પણ ગુરુવારે આખો દિવસ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. પોરબંદર જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે પોરબંદરના બરડા પંથકના ભાવપરા, ટુકડા,મિયાણી,વડાળા સહિતના ગામોમાં વરસાદી છાંટા પડ્યા હતા.એક તરફ ખેડૂતોના ખેતરમાં શિયાળું તૈયાર પાક પડ્યો છે તો બીજી તરફ કમોસમી વરસાદના છાંટા પડતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા હતા અને પોતાનો પાક બચાવવા દોડધામ પણ કરી હતી.તો કમોસમી વરસાદની સાથે સાથે પવન પણ ફૂંકાયો હતો.જેથી ગરમી વચ્ચે ઠંડો પવન ફૂંકાતા ગરમીમાં પણ રાહત થઈ હતી. જિલ્લામાં ધાણા, જીરુ, ચણાના તૈયાર પાકને નુકસાન પહોંચશેપોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ પડતાં જ ખેડૂતના ખેતરમાં પડેલ ધાણા, જીરું,ચણાનો તૈયાર પાકને નુકશાન પહોંચશે,હાલ જિલ્લામાં મોટાભાગના ખેડૂતોના ખેતરમાં શિયાળું તૈયાર પાક પડ્યો છે અને હરવેસ્ટીગ સ્ટેજમાં છે જેને નુકશાન પહોંચશે. ખેડૂતો પ્લાસ્ટિક, તાલપત્રી લેવા બજારમાં દોટમૂકી જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેતરમાં પડેલ તૈયાર પાક બચાવવા ખેડૂતો બજારમાં પ્લાસ્ટિક, તાલપત્રી લેવા ડોટ મૂકી હતી જેને લઈને બજારમાં પ્લાસ્ટિક, તાલપત્રીની અછત ઉભી થઇ હતી.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:કમોસમી વરસાદને પગલે બરડાના ખેતરમાં તૈયાર થયેલા ધાણા, જીરૂ, ઘઉં, ચણાના પાકને તાલપત્રીથી ઢાંકવા પડ્યા

પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ઠંડો પવન ફૂંકાયો હતો, જ્યારે બરડા વિસ્તારના ગામોમાં પણ કમોસમી વરસાદને પગલે ખેડૂતોએ પોતાના ખેતરમાં 30 ટકા શિયાળુ પાક બચાવવા તાલપત્રી ઢાંકવી પડી હતી. બરડા પંથકના ગામોમાં કમોસમી વરસાદ શિયાળુ પાક માટે જોખમી છે જ્યારે કેરીના ફાલ પર પણ ગંભીર અસર થવાની શક્યતા છે. પોરબંદર સહિત રાજ્યના 25 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી તા. 21 માર્ચ દરમિયાન પોરબંદર સહિત ગુજરાતના 25 જેટલા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. ત્યારે પોરબંદરમાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વાદળછાયુ વાતાવરણ વચ્ચે પવન ફૂંકાયો હતો, જ્યારે પોરબંદરના બરડા વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાયો હતો. બરડાના બગવદર, ખાંભોદર, મજીવાણા, ફટાણા, શિંગડા, શીશલી, વાછોડા, ખિસ્ત્રી, કાટવાણા સહિતના ગામોમાં સાંજે કમોસમી વરસાદ ખાબક્યો હતો. બરડા વિસ્તારમાં બપોર પછી 4:30 વાગ્યે આકાશમાં ઘટાટોપ વાદળા મેઘગર્જના સાથે જોરદાર પવન અને ધીમીધારે વરસાદ ચાલુ થયો હતો. ઉલ્લેખનીય છે કે, હાલ શિયાળુ પાક 70 ટકા સમેટાઈ ગયેલ છે જ્યારે 30 ટકા પાક ઉપાડવાનો બાકી છે જેમાં ધાણા, જીરૂ , ઘઉં, ચણા અને ઘાસચારાનો સમાવેશ થાય છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા, શિયાળુ પાકને ક્મોસમી વરસાદથી બચાવવા ખેડૂતોએ તાલપત્રી ઢાંકવી પડી હતી. જોકે કમોસમી વરસાદ થવાથી પાકને નુકસાનીનું જોખમ રહે છે જ્યારે બરડા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતો હોવાને કારણે બરડાના કાટવાણા, વિંજરાણા સહિતના ગામોમાં કેરીના પાકમાં નુકસાનીની શક્યતા જોવા મળે છે. ભારે પવનના કારણે કેરીના ફાલમાં આવતા આંબામોર અને ખાખડિયું ખરી જવાની શક્યતા રહેતી હોવાથી આંબાના પાકને નુકશાનની ભીતિ રહેલ છે. કુતિયાણા પંથકમાં ઝરમર વરસાદ સાથે પવન ફૂંકાયો હવામાનની આગાહી મુજબ પોરબંદર જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ત્યારે કુતિયાણામાં પણ ધૂપછાવ વાતાવરણ રહ્યું હતું. સાંજે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ પડયો હતો અને ભારે પવન ફૂંકાયો હતો. વરસાદી વાતાવરણ વચ્ચે બપોરના સમયે સાંજ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:00 am

ખારવા સમાજ દ્વારા રાંદલ મહોત્સવની ઉજવણી:ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, 23 સ્થળે માતાજીનું સ્થાપન

પોરબંદરમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. ભાવિકો માતાજીની પૂજા અર્ચના અને વ્રત કરી આસ્થાભેર નવરાત્રીની ઉજવણી કરશે. ગુજરાતમાં એકમાત્ર પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે જેમાં બહેનો રાસ રમી માતાજીની આરાધના કરે છે. ખારવા સમાજના ટ્રસ્ટી અશ્વિનભાઇ મધુભાઈ જુંગી એ જણાવ્યું હતુકે, ખારવાસમાજ રાંદલ માતાને આરાધ્ય દેવી માને છે અને ખારવા સમાજના વડવાઓ દ્વારા શરૂ કરેલ પરંપરા આસ્થાભેર નિભાવવામાં આવે છે. ખારવાવાડ વિસ્તારમાં 21 અને સુભાષ ગરમાં 2 એમ 23 જગ્યાએ રાંદલ માતા ગોરમાવડી ઉત્સવ ઉજવાઈ છે. ખાસ કરીને ખારવાવાડમાં મોટી રાંદલનું અનેરું મહત્વ રહેલું છે. જે જગ્યાઓ પરથી જ્યાં માતાજીના સ્થાપન છે ત્યાંથી બહેનો દરિયાના પાણીમાં પાટલા ધોઈ છે. ફાગણ માસની પૂનમ પછી પાટલા ધોઈ છે અને બાદ સ્થાપન કરી ફાગણ માસની અગિયારસ સુધી માતાજીના રાસ ગરબાનું આયોજન કરે છે. ચપ્પલ પહેર્યા વિના રાસ રમાઈ છે હાલ નવરાત્રી ગોર મવડી ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ખારવાવાડમાં માતાજીના સ્થાપન બહાર જગ્યામાં બાળાઓ અને બહેનો રાસ રમી માતાજીની આરાધના કરે છે ત્યારે સંસ્કૃતિ મુજબ પગમાં ચપ્પલ પહેર્યા વિના રાસ રમી માતાજીની ગરિમા જાળવે છે અને માતાની ખરા અર્થમાં આરાધના કરે છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:00 am

ગાજવીજ સાથે જાણે અષાઢી માહોલ:ભારે પવન સાથે માવઠું ત્રાટકતા 150 વૃક્ષ,15 વીજપોલ ધરાશાયી : ત્રણ રસ્તા બંધ

કમોસમી વરસાદે આજે સાંજે જાણે સમગ્ર અમરેલી જિલ્લાને ઘમરોળી નાખ્યો હતો. ઢળતી સાંજે જિલ્લાભરમાં ભારે આંધી તોફાન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે ચારે તરફ ભારે ખાનાખરાબી સર્જાઇ હતી. મોટા પ્રમાણમાં વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. જેનાથી વીજ પુરવઠો પણ પ્રભાવિત થયો હતો. કેરી ઉપરાંત રવિ પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. સાંજે અમરેલીમાં ચડી આવેલા વાદળો જાણે અષાઢ વરસતો હોય તેમ ગાજવીજ સાથે વરસી પડ્યા હતા. આ પૂર્વે ધૂળની આંધી ફુંકાઈ હતી. જેના કારણે સમગ્ર શહેરમાં પ્લાસ્ટિકનો કચરો ફરી વળ્યો હતો. વરસાદના કારણે અમરેલીના મોટાભાગના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ઠેબી નદીના કાંઠે લાગેલી મરચા બજાર પાણી પાણી થઈ હતી. શહેરમાં અનેક સ્થળે હોર્ડિંગ્સ અને દુકાનોના બોર્ડ ઊડ્યા હતા. વડીયા, સાવરકુંડલા, ધારી, અમરેલી, લીલીયા, લાઠી વિગેરે વિસ્તારમાં અતિ ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે ઠેક ઠેકાણે વૃક્ષો મૂળ સહિત ઉખડી ગયા હતા. સમગ્ર જિલ્લામાં 150થી વધુ વૃક્ષો ધરાશાયી થયાનું જાણવા મળેલ છે. વૃક્ષો પડી જતા અમરેલી વડીયા માર્ગ ઉપરાંત અમરેલી સાવરકુંડલા માર્ગ અને લાઠીનો માર્ગ પણ બંધ થયો હતો. અને મોડેથી વૃક્ષો હટાવી તે શરૂ કરાયો હતો. સાવરકુંડલામાં બે પાલા ધરાશાયી થયા હતા. ઉપરાંત અનેક હોર્ડિંગ પણ ઉડ્યા હતા. વડીયા પંથકમાં 10 વૃક્ષો પડી ગયા હતા. બાબરા પંથકમાં અતિ ભારે પવન અને વરસાદના કારણે મોટું નુકસાન થયું હતું. અહીં કથા મંડપના સમિયાણો હવામાં ઊડ્યો હતો. એક સ્થળે કાર પર વૃક્ષ તૂટી પડ્યું હતું. લાઠીમાં ગાગડીયા સર્કલ પાસે વૃક્ષો તૂટી પડતા રસ્તો બંધ થયો હતો. ધારીમાં મોડી સાંજે આકાશ ઘનઘોર વાદળોથી ઘેરાઈ ગયું હતું અને આંધી સાથે વરસાદ ત્રાટક્યો હતો. બાબરામાં ઈંટના 150 યુનિટને નુકસાન : પવનચક્કીઓ બંધ કરાઇ બાબરામાં 150થી વધુ ઈંટ ઉત્પાદકોના યુનિટ ચાલી રહ્યા છે. આજના કમોસમી વરસાદને પગલે ઈંટ ઉત્પાદકોને મોટું નુકસાન થયું હતું. આ ઉપરાંત આ વિસ્તારમાં આવેલી પવનચક્કીઓને તાબડતોબ બંધ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:00 am

વિરોધ:બગસરા ખાતે આંગણવાડી વર્કર બહેનોએ પડતર પ્રશ્નો ઉકેલવા માંગ ઉઠાવી ધરણાં કર્યા

બગસરા શહેર અને પંથકની આંગણવાડી વર્કર અને ફેસિલિટેટર બહેનો દ્વારા પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આંગણવાડી બહેનો દ્વારા સીડીપીઓને આવેદન પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી અને તેના અનુસંધાને ત્રણ દિવસ માટે માસ સિવિલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. બગસરા શહેરના ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે ધરણા પર બેસી સરકાર સામે સૂત્રોચાર કર્યા હતા. મહિલાઓએ હમ સબ એક હૈ અને હમારી માંગે પુરી કરો જેવા નારા લગાવી પોતાની માંગણીઓ પૂર્ણ કરવા માંગ કરી હતી. સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઇલ ફોન ડેટા એન્ટ્રી માટે યોગ્ય રીતે કાર્ય કરતા નથી, તેથી નવા મોબાઇલ આપવા, ઉપરાંત ફિક્સ પગારના બદલે કાયમી પગારધોરણ લાગુ કરવા, છેલ્લા ત્રણ મહિનાથી આંગણવાડી કેન્દ્રોના બિલો ચૂકવવામાં આવ્યા નથી, તે તાત્કાલિક ચૂકવવા તેમજ ફરજ બજાવતી બહેનોને ડ્રેસ આપવામાં આવે તેવી માંગ પણ રજૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:00 am

ગ્રામીણ વિસ્તારમાં અંધારપટ:જિલ્લામાં ભારે આંધીથી 207 ફીડર બંધ થયા, રાત સુધીમાં 109 ફીડર ચાલુ કરાયા

અમરેલી જિલ્લામાં અચાનક ફૂંકાયેલા ભારે પવનના કારણે વીજ પુરવઠા વ્યવસ્થામાં મોટો વિક્ષેપ સર્જાયો છે. પવનની તીવ્રતા વધતા અનેક જગ્યાએ વીજ લાઈનો અને વીજપોલને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ગામડાઓમાં અંધારપટ છવાઈ ગયો છે. અમરેલી ભારે પવનના કારણે મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાય હતી જેના કારણે ઠેર ઠેર વીજ પુરવઠો ખોરવાયો હતો, જિલ્લામાં કુલ 1079 ફીડર કાર્યરત છે, જેમાંથી ભારે પવનના કારણે 207 ફીડર અચાનક બંધ થઈ ગયા હતા. PGVCLની ટીમોએ તાત્કાલિક કામગીરી શરૂ કરતાં મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં આવ્યો છે. જોકે મોડી રાત સુધી 98 ફીડર હજુ બંધ હોવાના અહેવાલ મળ્યા છે. ધારી, વાડિયા અને સાવરકુંડલા પંથકમાં પવનની અસર વધુ જોવા મળી હતી. આ વિસ્તારોમાં આશરે 15 જેટલા વીજપોલ ધરાશાઈ થયાના અહેવાલ સામે આવ્યા છે, જેના કારણે અનેક ગામોમાં હજુ પણ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે.પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને PGVCLની ટીમો યુદ્ધના ધોરણે રાત્રે પણ કામગીરીમાં લાગી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:00 am

કામગીરી:10 વૃક્ષો ધરાશાયી થતા અમરેલી વડિયાનો બંધ થયેલો માર્ગ મોડેથી ખુલ્લો કરાવાયો

વડીયા તાલુકામાં આવેલા સ્ટેટ હાઇવે પર અચાનક વાતાવરણમાં પલટો આવતાં વરસાદ શરૂ થયો હતો શરૂઆતના વરસાદ સાથે તેજ પવન ફૂંકાતા રસ્તા પર અંદાજે 10 જેટલા નાના-મોટા વૃક્ષો ધરાશાઈ થયા હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ કુંકાવાવ ચોકીથી વડીયા તરફ જતા સ્ટેટ હાઇવે પર નોંધાયો હતો, જેના કારણે માર્ગ પર અવરજવર માટે અડચણો ઊભી થઈ હતી અને વાહનચાલકોને થોડીવાર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વૃક્ષો રસ્તા વચ્ચે પડી જતા હાઇવે પર ટ્રાફિક થોડા સમય માટે પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ થતાં જ વડીયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. પીઆઈ પી.ડી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે પોતે જ મેદાનમાં ઉતરીને પડેલા વૃક્ષોને હટાવવાની કામગીરી શરૂ કરી હતી અને ટૂંકા સમયમાં જ રસ્તા પર પડેલા વૃક્ષોને દૂર કરી ટ્રાફિક ફરીથી શરૂ કરવામાં સફળતા મેળવી લીધી હતી.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:00 am

કામગીરી:અમરેલી જિલ્લામાં 941 આંગણવાડી કેન્દ્રોમાં નવીનીકરણની ઝુંબેશ શરૂ

રાજ્યમાં બાળ વિકાસ સેવાઓને વધુ મજબૂત બનાવવા અને આંગણવાડી કેન્દ્રોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી નવીનીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં પણ વ્યાપક કામગીરી હાથ ધરાઈ છે. જિલ્લામાં કુલ 961 આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે, જેમાંથી 941 આંગણવાડીઓમાં નવીનીકરણ અને આધુનિકીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અભિયાન દ્વારા આંગણવાડી કેન્દ્રોને વધુ સુરક્ષિત, સ્વચ્છ અને આકર્ષક બનાવવા માટે રંગરોગાન, મરામત તેમજ વિવિધ માળખાકીય સુવિધાઓમાં સુધારા કરવામાં આવી રહ્યા છે, સાથે આંગણવાડી કેન્દ્રોમાં સ્વચ્છતા અભિયાનને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા જણાવ્યા મુજબ આ કામગીરી પૂર્ણ થયા બાદ જિલ્લામાં હજારો નાના બાળકો, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓને વધુ સુવિધાસભર અને સુરક્ષિત પરિસ્થિતિમાં સેવાઓ ઉપલબ્ધ થશે. સરકારની આ પહેલથી આંગણવાડી કેન્દ્રોની ગુણવત્તા સુધરશે અને બાળ વિકાસ તથા માતૃત્વ આરોગ્ય સેવાઓને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવામાં સહાય મળશે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:00 am

રજૂઆત:સ્વામી નિર્દોષાનંદ મહારાજને મરણોત્તર પદ્મ વિભૂષણ સન્માન આપવા મુખ્યમંત્રી પાસે ધારાસભ્યની માંગણી

ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સનાતન ધર્મના નિયમનું ચુસ્તપણે પાલન કરનાર સ્વામી નિર્દોષાનંદ મહારાજને મરણોતર પદ્મ વિભૂષણ એવોર્ડ અપાવવા રજૂઆત કરી છે. સ્વામીશ્રી નીર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણા અને કરુણા દ્રષ્ટ્રીથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કોઈ પણ પ્રકારના નાતી જતીના ભેદભાવ વગર છેલ્લા 14 વર્ષથી નિ:શુલ્ક આરોગ્ય સેવાઓ ઉપરાંત દર્દી તથા તેમના સગાઓને આરોગ્યલક્ષી સેવા આપવા માટે ટીંબી ગામે હોસ્પિટલ શરુ કરાયેલ છે. આ હોસ્પિટલના તમામ પ્રકારની સુવિધાઓ નિશુલ્ક સેવા કરાઇ છે. ટીમ્બી આરોગ્ય મંદિરના દાતાઓ દ્વારા ઉદારતાપૂર્વક અપાયેલ દાન ટ્રસ્ટી મંડળના સુચારુ આયોજનથી હોસ્પિટલ કાર્યરત છે. છેલ્લા 14 વર્ષથી એકપણ રૂપીયા વિનાના ખર્ચ વિના દર્દીને આરોગ્ય સેવા આપવામાં આવે છે. ભૂતકાળમાં ભારત સરકાર દ્વારા આવા રાષ્ટ્રહિતના કાર્યો કરતા મહાન સંતોને પદ્મ વિભૂષણ જેવા સન્માનોથી વિભૂષિત કરવામાં આવ્યા છે. પરમ પૂજ્ય સ્વામી નીર્દોષાનંદ સરસ્વતીજી મહારાજને પદ્મ વિભૂષણથી મરણોતર સન્માન આપવા રજૂઆત કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:00 am

ભાસ્કર ખાસ‎:પોરબંદર યાર્ડમાં બારાડી પંથકમાંથી 400 કિલો સૂકા લાલ મરચાની આવક

પોરબંદરના માર્કેટયાર્ડમાં વિવિધ જલસીઓની આવક જોવા મળતી હોય છે ત્યારે માર્કેટયાર્ડમાં બારાડી પંથકમાંથી 400 કિલો લાલ સૂકા મરચાની આવક શરૂ થઈ છે.માર્કેટયાર્ડમાં ખેડૂતોને લાલ મરચાના પ્રતિકિલોના 110 થી 372 રૂપિયા પ્રતિકીલોના ભાવ મળી રહ્યા છે. પોરબંદરના માર્કેટયાર્ડમાં સિઝન મુજબ વિવિધ ખેડૂતોની જલસીની આવક વિવિધ વિભાગોમાં થતી હોય છે. પોરબંદરના માર્કેટયાર્ડમાં ઉનાળાના પ્રારંભ થતાની સાથે જ બારાડી પંથકમાંથી લાલ સૂકા મરચાની આવક શરૂ થઈ છે. પોરબંદરના માર્કેટયાર્ડમાં દેવભૂમિ દ્વારકાં જિલ્લાના કલાણપૂર,ગોરિજા,વાસુ, કોસાડા ગામોમાંથી ખેડૂતો લાલ સૂકા મરચાનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે. માર્કેટયાર્ડમાં બુધવારે 400 કિલો સૂકા લાલ મરચાની આવક થઈ રહી છે. આ લાલ સૂકા મરચાના ખેડૂતોને રૂપિયા 110 થી 372 રૂપિયા ભાવ મળ્યો હતો. પોરબંદરના માર્કેટયાર્ડમાં હાલ જીણા મરચા, જાડા મરચા, રેશમપટ્ટો મરચા,કાસળી મરચાની આવક થઈ રહી છે જોકે દર વર્ષ બારાડી પંથકમાંથી લાલ મરચાની ઉનાળાના પ્રારંભે આવક થાય છે. કમોસમી વરસાદને લઈને આ વર્ષે માત્ર 5 ટકા જ આવક થઈ પોરબંદરના યાર્ડમાં ગત વર્ષે બારાડી પંથકમાંથી રોજ લાલ સૂકા મરચાની આવક થતી હતી ત્યારે આ વર્ષે દિવાળી દરમ્યાન કમોસમી વરસાદ પડતાં જ મરચાનો પાક બગડી જતા હાલ યાર્ડમાં માત્ર 5 ટકા જ મરચાની આવક થઈ છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:00 am

ભાસ્કર ખાસ‎:પોરબંદરના યાર્ડમાં ચાર દિવસમાં 300 બોક્સ કેસર કેરીની આવક નોંધાઈ, પ્રતિકિલોના રૂ.260થી 375 ભાવ બોલાયા

પોરબંદરના બરડા પંથકમાં પણ કેરીના બગીચામાં ફાલ વહેલો આવતા સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ પોરબંદરના યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ છે જેથી પોરબંદરના યાર્ડમાં છેલ્લા 4 દિવસમાં 300 બોક્સ કેરીની આવક નોંધાઈ છે જેનો પ્રતિકીલોના રૂપિયા 260થી 375 ભાવ બોલાયા હતા.આ કેરી પોરબંદરના બીલેશ્વર, ખંભાળા, રાણાવાવ અને આદિત્યાણા પંથકના બગીચામાંથી કેરીની આવક થઈ હતી. સમગ્ર રાજ્યના તાલાલા ગીર,જૂનાગઢ તેમજ પોરબંદરના બરડા પંથકની કેરી માટે ખ્યાતનામ કહેવામાં આવે છે.પોરબંદરના બરડા પંથકમાં આવેલ કેરીના બગીચામાંથી ઉત્પાદિત થતી કેરી સમગ્ર દેશ ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે ત્યારે પોરબંદર જિલ્લામાં કેસર કેરીની આવક પણ વહેલી નોંધાઈ છે. બરડા ડુંગરમાં ચુનાના પથ્થરના પેટાળને લીધે કેરીના બગીચામાં આ ચુનાના પથ્થરના પેટાળની ગરમીને લીધે સિઝન કરતા વહેલા ફાલ લાગી જાય છે જેથી પોરબંદરમાં વહેલી કેરી પાકે છે.સમગ્ર રાજ્યમાં આવેલ વિવિધ માર્કેટયાર્ડમાંથી એકમાત્ર પોરબંદરના માર્કેટયાર્ડમાં સૌપ્રથમ કેરીની આવક નોંધાઈ છે.પોરબંદરના યાર્ડમાંછેલ્લા 4 દિવસમાં 300 બોક્સ કેરીની આવક નોંધાઈ હતી. પોરબંદર જિલ્લાના બીલેશ્વર, ખંભાળા, રાણાવાવ અને આદિત્યાણા પંથકના બગીચામાંથી કેરીની આવક થઈ હતી.યાર્ડમાં આવક થયેલ કેરીના પ્રતિકીલોના ખેડૂત અને ઇજારેદારો રૂપિયા 260થી 375 ભાવ મળ્યા હતા. ગત વર્ષ કરતા 20 દિવસ વહેલી આવક શરૂ પોરબંદરના યાર્ડમાં ગત વર્ષે એપ્રિલ માસમાં કેરીની આવક શરૂ થઈ હતી ત્યારે આ વર્ષે 8 માર્ચથી આવક શરૂ થઈ ગઈ છે જેથી ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 20 થી 22 દિવસ વહેલી કેરીની આવક શરૂ થઈ છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:00 am

તંત્ર નિંદ્રાધીન:ખાપટમાં લોકાર્પણ પૂર્વે જ શૌચાલય બિસ્માર બન્યું,ઝાડી ઝાખરનું સામ્રાજ્ય

પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં વર્ષ 2017માં 14માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી 2 બ્લોક શૌચાલય બનાવવામાં આવ્યા હતા પરંતુ આ સોચાલય તૈયાર થયા બાદ લોકાર્પણ થયું જ નથી તેમજ હાલ આ સોચાલય લોકાર્પણ પૂર્વે જ બિસ્માર બની ગયા છે.આ શૌચાલય બ્લોકની ફરતે ઝાડી ઝાખરાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે તો શૌચાલયના દરવાજા પણ ગુમ થઇ ગયા છે. પોરબંદર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા અનેક શૌચાલય બનાવવામાં આવ્યા છે.પોરબંદર નગરપાલિકા દ્વારા વર્ષ 2017માં 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂપિયા 3.26 લાખના ખર્ચે ખાપટના ભાટળા વિસ્તારમાં પુરુષો અને સ્ત્રીઓ માટે 2 અલગ અલગ બ્લોકમાં શૌચાલય બનાવવામાં આવ્યા હતા. શૌચાલયના 2 બ્લોકના લોકાર્પણ પણ થયું ન હોવાનું સ્થાનિકો જણાવ્યું હતું ત્યારે આ શૌચાલય સ્થાનિકો માટે ખુલ્લા મૂકે તે પૂર્વે જ બિસ્માર બની ગયા છે. આ શૌચાલય બ્લોકની ફરતે ચોતરફ ઝાડી ઝાખરાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે તો શૌચાલયના દરવાજા પણ ગુમ થઈ ગયા છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:00 am

સમસ્યા:એપાર્ટમેન્ટના પાછળની ગટરનો પાઇપ લીંક થઇ જતાં આખા વિસ્તારમાં રોજ ફેલાતું દુર્ગંધયુકત પાણી

જામનગર શહેરમાં આર્યસમાજ પાછળ આવેલ કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક એપાર્ટમેન્ટના પાછળના ભાગની ગટરનો પાઇપ લીંક થઇ જતાં આખા વિસ્તારમાં દુર્ગંધ યુકત પાણી ફેલાય જતાં રહેવાસીઓમાં ભારે રોષની લાગણી જન્મી છે. આ અંગે અનેક વખત એપાર્ટમેન્ટના લોકો સામે રજૂઆત કરવા છતાં ગટરની કામગીરી ન કરવામાં આવતા લોકોમાં નારાજગી વ્યાપી જવા પામી છે. શહેરના ખંભાળિયા નાકા બહાર આવેલ કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક એપાર્ટમેન્ટના પાછળના ભાગની ગટરનો પાઇપ લીંક થઇ જતાં આખા વિસ્તારમાં ગટરનું દુર્ગંધયુકત પાણીનું સામ્રાજય થઇ જતાં રહેવાસીઓમાં ભારે રોષની લાગણી જન્મી છે અને રોગચાળાની ભીંતી સેવાઇ રહી છે. આ વિસ્તારના લોકો દ્વારા અનેક વખત મહાપાલિકામાં અને આ એપા ર્ટમેન્ટના લોકો સામે આ અંગેની રજુઆત કરવા છતાં કોઇ કામગીરી કરવામાં ન આવતા રહેવાસીઓને આવા દુર્ગંધયુકત પાણીમાંથી પસાર થવુ પડતું હોવાથી રોષની લાગણી જન્મી છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:00 am

ઝંઝાવાતી પવનનો કહેર:જામનગરમાં મીની વાવાઝોડું-વરસાદ,અનેક હોડિંગ્સ-વૃક્ષો ધરાશાયી‎

જામનગર સહિત હાલારમાં ભારે પવન સાથે છુટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુરૂવારે બપોરે જામનગર ઉપરાંત દ્વારકા, કાલાવડ,લાલપુર, જામજોધપુર પંથકમાં મીની વાવાઝોડા સાથે કમૌસમી વરસાદ ખાબકયો હતો.જયારે ધ્રોલ, જોડીયા, ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુરમાં ઝંઝાવાતી પવન સાથે હળવા છાંટા વરસ્યા હતા.જામનગર શહેરમાં પરોઢીયે ભારે પવન ફુંકાયા બાદ વાતાવરણ થોડા કલાકો શાંત રહયા પછી ફરી બપોરે શરૂ થયેલા મીની વાવાઝોડાએ અડધો કલાકથી પણ મુકામ કરતા બે ડઝનથી વધુ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા.જયારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વીજતાર તુટી પડયા હતા.બપોરે એક તબકકે શહેરના પોણા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ગુલ થઇ જવા પામ્યો હતો. જામનગરમાં બપોરે સાડા ત્રણ વાગ્યાના સુમારે તોફાની પવન શરૂ થયો હતો જે બાદ થોડીવારમાં જ મીની વાવાઝોડાનુ સ્વરૂપ ધારણ કર્યુ હતુ.એકાએક ગોરંભાયેલા આભ વચ્ચે ઝંઝાવાતી પવનથી જનજીવન પણ સ્તબ્ધ્ બની ગયુ હતુ.લગભગ પોણો કલાક સુધી ભારે પવન વચ્ચે હળવા વરસાદી ઝાપટા પડયા હતા.જે દરમિયાન શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષો સાથે વીજ તાર તુટી પડયા હતા.જે સાથે શહેરના પોણા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ગુલ થઇ જવા પામ્યો હતો.ધુળની ડમરીઓ વચ્ચે ઝંઝાવાતી પવનના કારણે શહેરના અમુક બહુમાળી બિલ્ડીંગોના કાચ પણ તુટ્યા હતા.જયારે અનેક વૃક્ષો સાથે વીજ તારનો પણ સોથ વળી ગયો હતો. શહેરના રણજીતસાગર રોડ પર ભાગવત સપ્તાહના આયોજનની તૈયારી વચ્ચે ભારે પવનના કારણે ડોમનો અમુક ભાગ પણ જમીનદોસ્ત થયો હતો. આ મીની વાવાઝોડુ સાંજે શાંત થયુ હતુ.જામજોધપુર,કાલાવડ , લાલપુર પંથકમાં પણ બપોરે ભારે પવન સાથે હળવો કમૌસમી વરસાદ ખાબકયો હતો.જયારે યાત્રાધામ દ્વારકામાં કમૌસમી વરસાદે એકાદ કલાક સુધી મુકામ કરતા માર્ગો પર પાણી વહેતા થયા હતા.ખંભાળિયા, ધ્રોલ, જોડીયા, ભાણવડ અને કલ્યાણપુર પંથકમાં સમયાંતરે હળવા વરસાદી છાંટાઓ પડયા હતા.જામનગર સહિત્ હાલારના મોટા ભાગના વિસ્તારોમાં તોફાની પવને અડધો કલાક સુધી મુકામ કરતા એક તબકકે બિહામણા દ્રશ્યો પણ સર્જાયા હતા. મીની વાવાઝોડાથી આખી સોલાર પેનલ નીચે રોડ પર ખાબકી, જાનહાની ટળીજામનગરમાં ગુરૂવારે બપોરના એકાએક મીની વાવાઝોડું શરૂ થતાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ પડયો હતો ત્યારે આ વાવાઝોડાના પગલે શહેરના દિ.પ્લોટ શેરી નં. 7માં એક મકાનમાં ફીટ કરેલ આખી સોલાર પેનલ પવનના જોરે નીચે પટકાતા રોડની વચ્ચે ખાબકી હતી જેના પગલે વાહનવ્યવહાર અસરગ્રસ્ત થયો હતો, સદ્દભાગ્યે કોઇ જાનહાની થવા ન પામી હતી. માવઠાથી ધાણાના પાકને નુકશાન, ભાવ ઓછા મળશેજામનગર પંથકમાં ગુરૂવારે બપોરે ભારે પવન સાથે કમૌસમી વરસાદી ઝાપટાઓથી પાકને નુકશાન થયુ છે.ખાસ કરી ધાણાના પાથરા પર પાણી પડતા બગાડ સાથે પાથરા પણ ઉડીને વેરવિખેર થયા છે.ઘાણાની ગુણવતાને અસર થવાથી ભાવ પણ ઓછા મળશે. > હર્ષદભાઇ સંઘાણી, ખેડૂત, જામનગર મોઢે આવેલો કોળીયો ઝુંટવાશે, ઉભા ઘઉંને ભારે નુકશાનઘઉંનો પાક તૈયાર થઈ ગયો હોય, અને ઘઉં કાઢવાની તૈયારીઓ કરતા હતા. આ દરમિયાન ઘઉં કાઢવાનું કટર ન આવતા ગુરૂવારે બપોર બાદ શરૂ થયેલા તોફાની પવન સાથેના કમોસમી વરસાદના કારણે ભારે નુકશાન થયું છે. ઘઉંની ડુંડીમાંથી ઘઉં નીકળીને નીચે પડી ગયા છે. > ખેડૂત ભાવેશભાઈ નંદા શહેરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ગુરૂવારના શરૂ થતાં વાહનોથી ધમધમતા સાધના કોલોની રોડ પર અનેક વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતાં અને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આ વૃક્ષોને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને થોડા સમય માટે એકબાજુનો રોડ બંધ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:00 am

દરિયા કાંઠા વિસ્તારનું પેટ્રોલીંગ‎:દરિયાકાંઠે શંકાસ્પદ બોટ તેમજ ઈસમો, અવાવરૂ જગ્યાનું ચેકીંગ

હાલમાં વેસ્ટ એશિયમાં અમેરિકા-ઈરાન વચ્ચે ઉપસ્થિત થયેલ યુદ્ધની પરિસ્થિતિને લઈને જામનગરના દરિયાઈ સુરક્ષાને સુદ્રઢ બનાવવામાં આવી છે અને કોઇ પણ આતંકવાદી ઘટના બને તે પહેલા સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયાઈ વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે જામનગરના દરિયાઈ સુરક્ષાને વધુ મજબુત બનાવવા સારૂ જામનગર જીલ્લાના સરમતની નાળ, રસૂલનગર, સિક્કા સોલ્ટ ગેટ, D.C.C જેટી દરિયાઈ વિસ્તારના સમગ્ર કોસ્ટલ વિસ્તારમાં એ.ટી.એસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા તેમજ દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક પી. એલ. માલ તથા મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ મરીન ટાસ્ક ફોર્સ, જામનગર સેક્ટરના પો.ઈ. ડી આર યાદવ અને તમામ મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે ફૂટ પેટ્રોલિંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઈસમો, શંકાસ્પદ બોટ, લેન્ડિંગ પોઇન્ટ ફિશિંગ સેન્ટર, અવવારૂ જગ્યાઓની ચેકિંગ હાથ ધરાયું હતું.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:00 am

વીજતંત્રને વ્યાપક નુકશાન:હાલારમાં 100થી વધુ વીજ થાંભલા ક્ષતિગ્રસ્ત, તંત્રની 111 ટીમ મેદાને

જામનગર-દેવભૂમિમાં મીની વાવાઝોડાના કારણે વીજતંત્રને વ્યાપક નુકશાન થયાનુ સામે આવી રહયુ છે. હાલારમાં પ્રાથમિક તપાસમાં જ 100થી વધુ વીજથાંભલા પણ જમીન દોસ્ત થયાનુ સામે આવ્યુ છે. જામનગર શહેરના મોટા ભાગના વિસ્તાર સહિત હાલારમાં ગુરૂવારે તોફાની પવન વચ્ચે અનેક સ્થળોએ વીજપુરવઠો ખોરવાયો હતો.જે દરમિયાન વિવિધ સ્થળોએ વૃક્ષો-હોર્ડિગ્સ વગેરે ધરાશાયી થયા હતા. જેના પગલે વીજતંત્ર ત્વરીત હરકતમાં આવ્યુ હતુ.જે દરમિયાન મીની વાવાઝોડાના કારણે જેટકોના 220 કેવીના બે અને 132 કેવીનુ એક સહિત ત્રણ ટાવર ધરાશાયી થયાનુ સામે આવ્યુ હતુ. હાલારમાં વીજતંત્રના પ્રાથમિક સર્વેમાં જ 100થી વધુ વીજથાંભલા જમીનદોસ્ત થયાનુ ખુલ્યુ છે. વીજ પુરવઠો પુર્વવત કરવા માટે વીજ વિભાગના સુપ્રિ.ઇજનેરના નેતૃત્વમાં જુદી જુદી 100 ટીમ બનાવી વીજ પુરવઠો પુર્વવત કરવા માટે ત્વરીત કામગીરી શરૂ કરાઇ છે.જે મોડી રાત્રી સુધી યથાવત રહેશે. શહેર સહિત મોટા ભાગના સ્થળોએ રાત્રી સુધીમાં વીજ પુરવઠો પુર્વવત કરી દેવાયો હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:00 am

સફળતા:જામનગરના યંગ કન્ટેન્ટ ક્રિએટર: ડાર્ક કોમેડીથી મેળવ્યા મિલિયન વ્યૂઝ

જામનગરના યુવા કન્ટેન્ટ ક્રિએટર નોયડા સોહમરાજ અને તેમની ટીમે માત્ર એક વર્ષમાં જ ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની આગવી ઓળખ બનાવી છે. 2025ની શરૂઆતમાં સામાન્ય વાતચીતથી શરૂ થયેલું આ પ્રયત્ન આજે લાખો દર્શકો સુધી પહોંચ્યો છે. સોહમરાજ જણાવે છે કે જાન્યુઆરી 2025માં મિત્રો સાથે બેઠા દરમિયાન ગુજરાતી કન્ટેન્ટ અંગે ચર્ચા થઈ. ‘ગુજરાતીમાં ઘણા ક્રિએટર્સ છે, પણ કંઈક એવું બનાવવું હતું કે જેને જોઈને તરત હાસ્ય આવે અને સાથે કાયદેસર, સ્વચ્છ કન્ટેન્ટ હોય.’ આ વિચાર સાથે ટીમે એક સ્માર્ટફોનની મદદથી 4-5 ડેમો વિડીયો તૈયાર કર્યા. તેમાંનો પહેલો જ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને માત્ર 2-3 મહિનામાં મિલિયનથી વધુ વ્યૂઝ મેળવી ગયો. આ સફળતાએ ટીમને આગળ વધવા પ્રેરણા આપી. અમારી પાસે વિડિયો બનાવા ફોન નહતો એટલે મેં EMI પર ફોન લીધો હતો. ત્રણ સભ્યોની આ ટીમ મુખ્યત્વે ગુજરાતી ડાર્ક કોમેડી કન્ટેન્ટ બનાવે છે, જે યુવાનોમાં ખાસ લોકપ્રિય બની રહ્યું છે. સોહમરાજ કહે છે કે તેમનો પ્રયાસ હંમેશા અલગ અને અસરકારક કન્ટેન્ટ રજૂ કરવાનો રહ્યો છે. તેમના ટીમમાં હુસૈનભાઈ અને ઇરફાન ભાઇ છે. તેમનું ઇન્સ્ટા આઇડી @sohamrajnoyda છે અને તેમના ફોલોવર્સ 137K છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:00 am

આત્મહત્યા:જામનગરના નવા નાગનાના યુવાને ગળાફાંસો ખાઈ લીધો

જામનગર તાલુકાના નવા નાગના ગામમાં રહેતા અને ભેંસનો તબેલો ચલાવતા શાંતિલાલ છગનભાઈ સોનગરા (ઉ.વ.29) નામના સતવારા યુવાને ગત તા.8મીના રોજ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયાં લાંબી સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જે બનાવથી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. બનાવ અંગે મૃતકના મોટાભાઈ ધર્મેન્દ્રભાઈ છગનભાઈ સોનગરાએ પોલીસને જાણ કરતાં બેડી મરીને પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુર્યરાજસિંહ કે. જાડેજા સહિતનો સ્ટાફ જી.જી. હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. પોલીસના પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક યુવાનનું સગપણ થતું ન હોવાથી આ પગલું ભર્યું હોવાનું અનુમાન કરાયું છે. જોકે તેના પરિવારજનો દ્વારા હજુ સુધી પોલીસને ચોક્કસ કારણ આપ્યું નથી, અને પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદનો માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:00 am

ડ્રાઈવરનો વીડિયો વાયરલ‎:જામનગરમાં કચરા ગાડીના ચાલકે વાછરડી ઉપર ગાડી ચડાવી દેતા દેકારો

જામનગર શહેરમાં માતેલા સાંઢની જેમ દોડતી કચરા ગાડીઓના ચાલકોના કરતુતો સામે આવતા રહે છે,પટેલ કોલોની વિસ્તારમાં એક કચરા ગાડીએ ગૌવંશ (વાછરડી) ઉપર ચઢાવી દીધી હતી અને વાછરડી વચ્ચે ફસાઈ જતાં ગૌ-પ્રેમીઓ એકઠા થઈ ગયા હતા અને દેકારો બોલાવી દીધો હતો. શહેરના પટેલ કોલોની શેરી નં-9ના છેડે ગુરૂવારે સવારે 10:30 વાગ્યાના અરસામાં બેફામ ઝડપે આવી રહેલી કચરા ગાડીના ચાલકે બેફામ રીતે ગાડી ચલાવીને રો0 ઉપર બેસેલી ગૌવશં (વાછરડી) ઉપર ચડાવી દેવામાં આવી હતી. વાછરડી કચરા ગાડીની વચ્ચે ફસાઈ ગઈ હતી. આ સમયે ત્યાં ઉભેલા સ્થાનિક રહેવાસી એવા ચંદ્રવિજયસિંહ જાડેજાએ દેકારો કરીને વાહન થોભાવી દીધું હતું, ત્યારબાદ તેના પુત્રએ વાહનની નીચેથી વાછરડીને સહી સલામત રીતે બહાર ખેચીને કાઢી લીધી હતી. વાછરડીને એક પગમાં નજીવી ઈજા થઈ હતી. વાછરડીએ ત્યાંથી ચાલતી પકડી લેતા સૌએ હાશકારો અનભુવ્યો હતો. જામનગર મહાનગરપાલિકાના તંત્રએ ફેબ્રુઆરીમાં કચરા ગાડીએ ત્રણ અકસ્માતો સર્જાયા’તા શહેરમાં માંતેલા સાંઢની જેમ દોડતી કચરા ગાડીના ચાલકો અવાર-નવાર અકસ્માતો સર્જે છે. ત્યારે ફેબ્રુઆરી માસ દરમિયાન વિકટોરીયા પુલ ઉપર તેમજ નુરી ચોકડી પાસે સહિત ત્રણ થી ચાર જેટલા અકસ્માતો સર્જાયા હતા. પરંતુ એક પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આવા બેફામ ગતી એ વાહન ચલાવતા ડ્રાઇવરોને શોધી કાઢી તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ પણ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:00 am

કામગીરી:પેઢીના GST નંબરનો દુરઉપયોગ, મેતાજીનું 20.30 લાખનું ટ્રાન્જેક્શન

જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર પટેલ પાર્કમાં રહેતા હિરેન મુકેશભાઈ હિરપરા (ઉ.વ.27) નામના યુવાને પોતાની પેઢીના જીએસટી નંબરનો દૂરઉપયોગ કરી ગેરકાયદે રીતે મોટુ ટર્નઓવર કરી નાખવા અંગે અને પોતાની સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરવા અંગે પોતાના જ મહેતાજી સહિત અન્ય બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. યુવાન હિરેન હીરપરાએ 2021ની સાલમાં ઓનલાઈન કિચનવેર વેચવા માટે ઈ કોમર્સ યુનિક એન્ટરપ્રાઇઝ નામની પેઢી તૈયાર કરી હતી, અને તેનો જીએસટી નંબર પણ મેળવ્યો હતો. અને ઝીરો રિટર્ન ભર્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પોતે કોઈ કામ ધંધો કરતા ન હોવા છતાં જીએસટી વિભાગ દ્વારા હિરેન હિરપરા ને 37,86,000ના બાકી બિલની નોટિસ પાઠવી હતી. જેથી હિરેનભાઈ ચોંકી ઉઠ્યા હતા, અને તેણે સમગ્ર મામલાની તપાસ કરવા માટે પોલીસમાં અરજી કરી હતી. અરજીના અનુસંધાને પોતાની પેઢીમાં અગાઉ માત્ર છ મહિના માટે કામે જોડાયેલા મહેતાજી જયસુખ જમનભાઈ વોરાનુ કારસ્તાન હોવાનું સામે આવ્યું હતું. જયસુખની ઉલટ તપાસ કરવામાં આવતા તેણે જામનગરના અમિતસિંઘ માનને જીએસટી નંબર આપ્યા હતા, અને તેણે જય ગુજરાત ગુડ કેરિયર નામની પેઢી માં જીએસટી નંબરનો ઉપયોગ કરી નાણાકીય વ્યવહાર કર્યા હતા. જેણે 20,30,600નો ખોટો રિપોર્ટ બનાવ્યો હતો. જીએસટી વિભાગ દ્વારા આખરે આ મામલામાં પેનલ્ટી સહિત 37,86,000ના બાકી બિલ ની નોટિસ પાઠવી હોવાથી આખરે મામલો સામે આવ્યો હતો, અને પોલીસે મહેતાજી જયસુખ વોરા તેમજ અમિતસિંઘ માન અને જય ગુજરાત ગુડ કેરિયર ના સંચાલક સામે ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસમાં અમિતસિંઘ માન નું મૃત્યુ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ભક્તોએ કહ્યું... માતાજીના મંદિરમાં દારૂ- નોનવેજથી લાગણી દુભાઈ, ચેકીંગ વધારો

તારીખ 19 માર્ચને ગુરૂવારથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. ઠેર-ઠેર માતાજીના મંદિરો, આશ્રમોમાં અનુષ્ઠાન, હોમ-હવન શરૂ થયા છે. જેમાં ગિરનાર પર બિરાજમાન માં અંબાના દર્શનાર્થે દર વર્ષની જેમ અમદાવાદ, સુરત, વડોદરા સહિતમાંથી ભાવિકોનુ આગમન થયુ છે. પ્રથમ દિવસથી જ અંબાજી મંદિરમાં દર્શન માટે ભાવિકોનુ ઘોડાપુર જોવા મળ્યુ હતુ. સીડી તેમજ રોપ-વેમાં ભાવિકોની ભીડ જોવા મળી હતી. ચૈત્રિ નવરાત્રિના નવે નવ દિવસ દરમિયાન યાત્રિકોનો ધસારો રહેશે એમ પૂજારીએ જણાવ્યુ હતુ. કલંકિત ઘટનાથી ભાવિકોનો રોષ એમના જ શબ્દોમાં... કૃત્યમાં સંડોવાયેલ આરોપીઓનેે સજા કરોગિરનારની પવિત્ર ભૂમિમાં દુર-દુરથી દર્શનાર્થે ભાવિકો આવે છે. એમા પણ મંદિરના દારૂ-મદિરાની પાર્ટીની ઘટના સાંભળાતા જ રોષ ભભૂક્યો છે. આ કૃત્યમાં જેની પણ સંડોવણી છે તેની સામે એફઆઇઆર તો થઇ પણ કડક સજા તંત્ર કરે એવી અમારી માંગ છે.> દિપકભાઇ, દર્શનાર્થી માતાજી આરોપીઓને નહીં છોડે, ચેકીંગ વધારોદેશ-વિદેશમાંથી આસ્થાથી જે લોકો ગિરનાર પર બિરાજમાન માં અંબાના દર્શન માટે આવતા હોય તે જ મંદિરમાં આવુ કૃત્ય થતા લાગણી દુભાણી છે. આવા આરોપીઓને માતાજી છોડશે નહીં. તંત્ર ચેકીંગ કડક કરે તે જરૂરી છે. > દિનેશભાઇ, દર્શનાર્થી ચૈત્રિ નવરાત્રિ શરૂ થતા જ માતાજીની કરેલી માનતા ઉતારવા સાડી, શ્રીફળ ધરવા માટે આવી છુ. માતાજીના ભંડારામાં જે ઘટના બની તેને લઇને લાગણી દુભાણી છે. હવે આવુ કૃત્ય કરવાનુ પણ કોઇ વિચારે નહીં તેવુ તંત્ર મંદિર પરિષરમાં આયોજન કરે તેવી માંગ છે. > આસ્થાબેન, દર્શનાર્થી ગિરનાર પર અંબાજી મંદિરના ભંડારામાં માસ-મદિરાની ઘટના બાદ કલેકટરની સુચનાથી એસડીએમ, મામલતદાર સહિતની ટીમે સ્થળ તપાસ કરી રિપોર્ટ તૈયાર કરી કલેકટરને સોપ્યો હતો. બાદમાં દાનપેટીના પૈસાનો દુરઉપયોગ તેમજ માસ-મદિરા પાર્ટીને લઇ કુલ 11 શખ્સ સામે ફરિયાદ દાખલ થઇ હતી. ઘટના પહેલા જે પુજારી, સફાઇકામદાર, રસોયા, પીઆરઓ સહિતના 12 લોકોની વહીવટદારે રાખ્યા હતા તે તમામને ઘટનાને લઇ દૂર કરી હાલમાં નવા 5 લોકોમાં 4 પુજારી અને એક રસોયાને રાખવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:00 am

કામમાં એકાગ્રતા રહે તે માટે નવી પહેલ‎:આજથી એસટી વિભાગીય કચેરીમાં પ્રાર્થના, રાષ્ટ્રગીત-ગાન ગાઇને કામની શરૂઆત થશે

જૂનાગઢ એસટી વિભાગીય કચેરી ખાતે હવે કામની શરૂઆત તમામ કર્મચારીઓ પ્રાર્થના, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન ગાઇને કરશે. કર્મચારીઓમાં પરસ્પર આત્મીયતા વધે, કામમાં એકાગ્રતા રહે સહિતની બાબતને લઇ પ્રથમવાર એસટી વિભાગમાં આ પહેલ શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ એસટી વિભાગીય નિયામક વી.બી. ડાંગરે જણાવ્યુ કે, જૂનાગઢ વિભાગીય કચેરી જૂનાગઢ ખાતે તારીખ 20 માર્ચને સવારથી રોજ ઓફીસની તમામ શાખાના કર્મચારીઓ, અધિકારીઓ કામની શરૂઆત મૈત્રી ભાવનુ પવિત્ર ઝરણુ પ્રાર્થના, વંદે માતરમ રાષ્ટ્રગીત, જનગનમન રાષ્ટ્રગાન ગાઇને કરશે. સૌપ્રથમવાર જૂનાગઢ એસટી વિભાગીય કચેરી દ્વારા આ પહેલ કરવામાં આવી છે. કચેરીમાં એસટી વેલ્ફેર કમિટી જૂનાગઢ દ્વારા સ્વભંડોળમાંથી શાખામાં લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આયોજન કરવા પાછળ આ હેતુ જવાબદાર - કર્મચારીઓમાં પરસ્પર આત્મીયતા અને ભાઈચારાની ભાવ તેમજ રાષ્ટ્રભાવના વધારે સુદ્રઢ બને - કામગીરીમાં વધારે એકાગ્રતા દાખવી ગુણવત્તા યુક્ત કવોલીટી વર્ક તરફ ટીમ વર્ક થાય - પ્રાર્થના, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન થકી ઓફિસનું વાતાવરણ વધારે રમણીય અને આનંદદાયક અનુભૂતિ કરાવનાર બને. - કર્મચારીઓના શિસ્ત, સમયબદ્ધતામાં સુધારો થાય. - કોઇપણ કામને લગતી કે કોઇ અન્ય જાહેરાત કરવી હોય તો સરળતાથી એકી સાથે કર્મી સુધી પહોંચી જાય તે માટે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:00 am

ખાતમુહૂર્ત:વંથલી પંથકના લોકોના આંદોલન બાદ આખા- ટીનમસ રોડનું ખાતમુહૂર્ત કરાયું

વંથલી તાલુકાના ગાદોઈ ,ટીનમસ ,આખા ગામને જોડતો રસ્તો છેલ્લા દોઢ વર્ષથી મંજૂર થયો હોવા છતાં કામગીરી ન થતા રસ્તાથી પરેશાન ગ્રામજનોએ થોડા સમય પહેલા વિરોધ પ્રદર્શન કર્યું હતું અને 'જાગો ધારાસભ્ય જાગો ' ના નારા લગાવ્યા હતા. આ લોકરોષ ને કારણે ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્ર દ્વારા કામગીરી કરી અંતે આ રસ્તાનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું જેને લઈ ગ્રામજનોમાં રાહતની લાગણી પ્રસરી છે વંથલીના ખોખરડા ફાટકથી આખા સુધીના ૯ કિમીના આ રસ્તા પર ડામરની કામગીરીને લીધે ધૂળિયા રસ્તાથી ત્રસ્ત લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને તંત્ર દ્વારા ઝડપથી કામગીરી પૂરી થાય તેવી લોકોએ આશા વ્યક્ત કરી છે. આ ખાતમુર્હુત પ્રસંગે ધારાસભ્ય અરવિંદ લાડાણી, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, આ વિસ્તારના ગામના સરપંચો, આગેવાનો,તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.અત્રે નોંધનીય છે કે આ માર્ગ ઘણા સમયથી બિસ્માર હોય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ અંગે બાંધકામ વિભાગના વિવેક પંડ્યાએ જણાવ્યું હતું કે ગાદોઈ ટીનમસ આખા રોડ આશરે 9 કિમી રોડ અંદાજે 11 કરોડના ખર્ચે દિશા એજન્સી દ્વારા આગામી 2થી 3 દિવસમાં કામગીરી શરૂ કરવામાં આવશે અને 6મહિનામાં કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:00 am

ધરપકડ:આદિત્યનગરનો શખ્સ દારૂની હેરાફેરી કરતો ઝડપાઈ ગયો

જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પ્રોહી ડ્રાઇવ સબબ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન જોશીપરા પાસે નારાયણ ચોક ખાતે સામેથી આવી રહેલ જીજે સીઇ 6982 નંબરના મોપેડ ચાલકને રોકવામાં આવ્યો હતો. પોલીસને જોઈ ચાલક ગભરાઈ ગયો હતો અને સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. પોલીસે મોપેડની ડેકીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનું 1 ચપટું 2 મળી આવ્યું હતું. એટલું જ નહીં, શખ્સના પેન્ટના નેફામાંથી પણ દારૂના ચપટા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા 25,000નું મોપર, રૂ. 600નો વિદેશી દારૂ અને બે મોબાઈલ મળી કુલ 31,100નો મુદ્દામાલ જપ્ત કરી શાક માર્કેટ પાસે રહેતો 25 વર્ષીય અકરમ પઠાણની અટક કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો તેને તેના બનેવી સમીર હનીફભાઈ બ્લોચે પૂરો પાડ્યો હતો. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી ફરાર સમીર બ્લોચને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:00 am

કલંકિત ઘટના કેસ:ગિરનારનાં અંબાજી મંદિર પરિસરમાં તપાસ

કલંકિત ઘટના કેસમાં પોલીસે ગિરનાર અંબાજી મંદિર પરિસરમાં તપાસ હાથ ધરી હતી અને સ્થળ પર પંચનામું કર્યું હતું. અંબાજી મંદિરના ભંડારાના રસોઈ ઘરમાં દારૂનું સેવન અને નોનવેજ બનાવી તેની મહેફિલ કરવા સબબ તેમજ ધાર્મિક લાગણી દુભાવવા બદલ અભિષેક કિશોરસિંહ ચૌહાણ ઉર્ફે બોય, જીગ્નેશ રવજીભાઈ ડાભી, છગન બચુભાઈ ડાભી, નિખિલ કિશોરભાઈ મેઘનાથી તથા 2 સગીર વિરુધ્ધ ભવનાથ પોલીસમાં અલગ અલગ 2 ગુના નોંધાયા હતા. મંદિરની દાન પેટીની આવક સાથે ચેડા કરવા બદલ યોગેશ ગીરી, દુષ્યંતગીરી અપારનાથી, દેવગીરી, કુંદનગીરી અરજનગીરી અપારનાથી, ભરતનાથ રાજનાથ સામે મંદિરના વહીવટદારની ફરિયાદના આધારે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. ભવનાથ પોલીસ મથકના પીઆઇ પી. સી. સરવૈયાએ ભાસ્કરને જણાવ્યું હતું કે, 3 ટીમ દ્વારા વિવિધ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. પ્રારંભિક તબક્કે સ્થળ પર પંચનામું કરી પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. ઘટના અંગે રજૂ કરાયેલા વાયરલ વીડિયોની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાંતની મદદ લઈ ચકાસણી શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:00 am

અકસ્માત:2 બાઈક વચ્ચે ટક્કર, વૃદ્ધનું મોત, 1 વ્યક્તિને ગંભીર ઇજા

માંગરોળના ચંદવાણા ગામ પાસે 2 બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક વૃધ્ધનું મૃત્યુ નિપજ્યું હતું અને 1ને ઇજા પહોંચી હતી. પ્રભુદાસભાઈ વલ્લભભાઈ કાલરીયા (ઉં.વ. 70) તેમના સંબંધી જેન્તીભાઈ બધાભાઈ ચુડાસમા સાથે જીજે 11 એઇ 5038 નંબરના બાઈક પર ચંદવાણાથી નગીચાણા કેસુડાના ફૂલ લેવા જઈ રહ્યા હતા. આ દરમિયાન માંગરોળ તાલુકાના ચંદવાણા ગામથી નગીચાણા તરફ જતા રસ્તા પર આવેલ ખીમજીભાઈની વાડી પાસે સામેથી આવી પુરઝડપે રહેલા જીજે 11 બીએમ 5772ના ચાલક ચંદવાણા ગામના નીલેશ નરસિંહભાઈ પરમારે પોતાના બાઈકની પ્રભુદાસભાઈની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં પ્રભુદાસભાઈ તથા જેન્તીભાઇને ઈજા થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે કેશોદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ ગંભી ગંભીર ઇજા થવાથી પ્રભુદાસભાઈને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. શીલ પોલીસે મૃતકના ભાઈ શશીકાંતભાઈની ફરિયાદ લઈ બાઇક ચાલક નીલેશ પરમાર વિરુદ્ધ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાથી કાલરીયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:00 am

ફરિયાદ:જમીન મૂકીને જતા રહેવાનું કહી યુવક પર કુટુંબીનો હુમલો

​માંગરોળ તાલુકાના રૂદલપુર ગામનો 19 વર્ષીય હાર્દિક સાજણભાઈ કોડીયાતર નામનો યુવક બુધવારે રાત્રિના 8:30 વાગ્યે પોતાની બાઈક લઈને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે શિવ શક્તિ ડેરી પાસે ગામમાં રહેતા કુટુંબી ભાઈ મુન્ના અરજણભાઈ કોડીયાતરે તેમની ગાડી રોકી હતી. શખ્સે હાર્દિકને તેમની જમીન મૂકીને જતા રહેવાનું કહી છોડી દેવા ઝઘડો શરૂ કર્યો હતો.​આ દરમિયાન મુન્ના સાથે તેના પિતા અરજણ નાથાભાઈ કોડીયાતર અને ભાઈ અલ્પેશ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ત્રણેય શખ્સોએ ભેગા મળી યુવકને ગાળો આપી, ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન મુન્નાએ છરી બતાવી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. જતી વખતે પિતા, પુત્રોએ ધમકી આપી કે, ’આજે તો તું બચી ગયો છે, હવે પછી ક્યાંય ભેગો થઈશ તો તને જાનથી મારી નાખીશું.’

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:00 am

દારૂના કટિંગ પહેલાં જ LCB ત્રાટકી‎:જાલતમાં કારમાંથી 2.67 લાખના દારૂ સાથે હરિયાણા પાસીંગની નંબર પ્લેટ જપ્ત

દાહોદ તાલુકાના જાલત ગામના આમણા ફળિયામાં પોલીસે ફિલ્મી ઢબે દરોડો પાડી દારૂનું કટિંગ થાય તે પહેલાં જ 2.67 લાખનો મુદ્દામાલ પજ્ત કરાયો છે. આ સાથે હેરિયર કારમાંથી હરિયાણા પાર્સિંગની ખોટી નંબર પ્લેટ પણ કબજે લઇને એલસીબીએ કતવારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. દાહોદ તાલુકાના જાલત ગામના સીમ વિસ્તારમાં એક ખેતરના ખુલ્લા ભાગમાં સફેદ કલરની ટાટા હેરીયર ગાડી નંબર GJ-18-BQ-1942 માંથી વિદેશી દારૂનું કટીંગ થાય તે પહેલાં જ એલસીબી પોલીસની ટીમ ત્રાટકી હતી. પોલીસની ગાડી જોઈને હેરીયર કારનો ચાલક સીમ વિસ્તારના ભૌગોલિક સંજોગો અને રાત્રિના અંધારાનો લાભ ઉઠાવી ખેતરોમાં નાસી છૂટ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી લક્ઝરી કારની તલાશી લેતા તેમાંથી પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની કુલ 2024 નંગ બોટલો મળી આવી હતી. જેની કિંમત 2,67,168 થાય છે. આ તપાસ દરમિયાન પોલીસ ત્યારે ચોંકી ઉઠી હતી જ્યારે કારની અંદરથી અન્ય એક રાજ્યની નંબર પ્લેટ HR-10-AH-3556 પણ મળી આવી હતી. પોલીસને શંકા છે કે બૂટલેગરો આંતરરાજ્ય સરહદો પર પોલીસને છેતરવા માટે રસ્તામાં જ ગાડીની નંબર પ્લેટ બદલી નાખતા હતા. પોલીસે 8 લાખની કિંમતની હેરીયર કાર, દારૂ સહિત કુલ 10,67,168 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે કતવારા પોલીસે અજાણ્યા બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:00 am

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો:વાવાઝોડાના કારણે વીજ પોલ પડતા ટ્રક પલટી ખાઈને ઈકો કાર પર પડી, બંને ચાલકો ઈજાગ્રસ્ત

નેશનલ હાઈ-વે નંબર 48 પર વડોદરાની ધનીયાવી ચોકડી પાસે આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આજે અચાનક આવેલા વાવાઝોડાના કારણે વીજ પોલ ધરાશાયી થઈ જતા દુર્ઘટના થઈ ગઈ હતી અને ધરાશાયી થઈ રહેલા વીજ પોલથી બચવા જતા લાકડા ભરેલો ટ્રક પલટી ખાઈ ગયો હતો. ટ્રક ઈકો કાર પર પડ્યો હતો. આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે હાઇ-વે પર અફરાતફરી મચી ગઈ હતી અને ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે તપાસ શરૂ કરી છે. વીજ થાંભલાથી ટ્રકને બચાવવા જતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યોમળતી માહિતી મુજબ સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલી એક ટ્રક જ્યારે ધનિયાવી ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ભારે પવન અને વાવાઝોડાને કારણે રોડ પર એક વીજ થાંભલો ધરાશાયી થયો હતો. વીજ થાંભલાથી ટ્રકને બચાવવા જતાં ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. સ્ટીયરિંગ અચાનક ફેરવવાના કારણે ટ્રક રોડ પર જ પલટી ખાઈ ગઈ હતી અને તેની પાછળ આવી રહેલી ઈકો કાર પર જઈ પડી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતોઅકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ ઘટનામાં ટ્રક ચાલકને ઈકો કારના ચાલક બંનેને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેના ફૂટેજ હવે સામે આવ્યા છે. વડોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. થાંભલો ટ્રક પર પડ્યો એટલે ડ્રાઈવરે કટ માર્યો હતો અને ટ્રક પલટી ખાઈ ગઈપ્રત્યક્ષદર્શી શિવશક્તિ પટેલે જણાવ્યું હતું કે, સાહેબ અચાનક એક ટ્રક સામે થાંભલો આવી ગયો હતો. એ થાંભલો ટ્રક પર પડ્યો એટલે ડ્રાઈવરે કટ માર્યો હતો અને ટ્રક પલટી ખાઈ ગઈ હતી. એ ટ્રકમાં લાકડાં ભરેલાં હતાં જે અમારી ગાડી ઉપર પડ્યા. ટ્રકનો કેટલોક ભાગ પણ અમારી ગાડી પર પડ્યો હતો. ટ્રક ચાલકને સૌથી વધુ ઈજા થઈ છે. અમારી ગાડીમાં હું અને ડ્રાઈવર, એમ કુલ બે જ જણ હતા. જાનહાનિ તો નથી થઈ પણ અમને થોડી ઘણી ઈજાઓ થઈ છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 12:05 am

સુરતમાં મીની વાવાઝોડાનો કહેર:બેંગકોક-સુરત ફ્લાઈટના આકાશમાં 15 ચક્કર, દોઢ કલાક બાદ થયું સુરક્ષિત લેન્ડિંગ

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આવેલા અચાનક પલટા અને ફૂંકાયેલા તેજ પવન સાથેના મીની વાવાઝોડાએ માત્ર જનજીવન જ નહીં, પરંતુ હવાઈ સેવાને પણ બાનમાં લીધી હતી. સુરત એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે વિમાની સેવાઓ ખોરવાઈ હતી, જેમાં ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના મુસાફરોએ ભારે ફાળ અનુભવી હતી. 1.30 કલાક સુધી ફ્લાઈટ હવામાં રહીબેંગકોકથી સુરત આવી રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ જ્યારે સુરતની સમીપ પહોંચી ત્યારે શહેર અને આસપાસના વિસ્તારોમાં તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો હતો. વિઝિબિલિટી ઓછી હોવાને કારણે અને ભારે પવનને લીધે એરપોર્ટ પર લેન્ડિંગ કરવું જોખમી હતું. પરિણામે, પાયલટે લેન્ડિંગ મોકૂફ રાખી સલામત સમયની રાહ જોવી પડી હતી. નવસારી-ચીખલી પર રાઉન્ડફ્લાઈટ સુરત એરપોર્ટ પર ઉતરી ન શકતા તેને નવસારી અને ચીખલીના આકાશમાં ડાયવર્ટ કરવામાં આવી હતી. મુસાફરો માટે આ સમય અત્યંત તણાવપૂર્ણ રહ્યો હતો. કારણ કે ફ્લાઈટ સતત દોઢ કલાક સુધી હવામાં જ રહી હતી અને અંદાજે 15 જેટલા રાઉન્ડ માર્યા હતા. આખરે જ્યારે પવનની ગતિ સામાન્ય થઈ અને હવામાન વિભાગ તરફથી ક્લિયરન્સ મળ્યું, ત્યારે જ વિમાનનું સુરત એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. રાજકોટની ફ્લાઈટને સુરત ડાયવર્ટ કરાઈમાત્ર સુરત આવતી ફ્લાઈટ જ નહીં, પરંતુ અન્ય શહેરોની હવાઈ સેવાને પણ અસર પહોંચી હતી. ખરાબ હવામાનના કારણે રાજકોટ જતી એક ફ્લાઈટને પણ લેન્ડિંગમાં મુશ્કેલી પડતા તેને સુરત એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. હવામાં દોઢ કલાક સુધી સતત ગોળ ચક્કર કાપતી ફ્લાઈટને કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, પાયલટની સૂઝબૂઝ અને હવામાન સાફ થવાની રાહ જોયા બાદ તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 12:05 am

સુરેન્દ્રનગરમાં પીર યુસુફમીયા બાપુના નિવાસસ્થાને ઇફતાર પાર્ટી:એકતાનો સંદેશ આપવા હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

સુરેન્દ્રનગરમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ પીર સૈયદ યુસુફમીયા બાપુના નિવાસસ્થાને ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિન્દુ-મુસ્લિમ એકતાના સુંદર દર્શન થયા હતા, જ્યાં બંને સમુદાયના અગ્રણીઓ એકસાથે ઉપસ્થિત રહ્યા હતા. આ ઇફતાર સમારંભમાં શહેરના નામાંકિત ડોકટરો, વકીલો, રાજકીય આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ અને વેપારીઓ સહિત વિવિધ ધર્મ અને વર્ગના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને ભાઈચારા અને સામાજિક એકતાનો મજબૂત સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન, ઉપસ્થિત મહેમાનો દ્વારા સૈયદ યુસુફમીયા બાપુને ફૂલહાર પહેરાવી અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ એક જ પંક્તિમાં બેસીને રોજા ખોલતા જોવા મળ્યા હતા, જેના કારણે સામાજિક સૌહાર્દ અને એકતાનો અનોખો માહોલ સર્જાયો હતો.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 10:25 pm

વલસાડમાં વાતાવરણ બદલાયું, ધૂળની ડમરીઓ ઉડી:ભારે પવનથી કેરીના પાકને નુકસાનની ભીતિ, ખેડૂતો ચિંતિત

વલસાડ જિલ્લામાં 19મી માર્ચની રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. આ બદલાયેલા વાતાવરણથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી વચ્ચે આ પલટો જોવા મળ્યો હતો. મોડી રાત્રે ફૂંકાયેલા તેજ પવનને કારણે રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી, જેનાથી વિઝિબિલિટી ઘટી ગઈ હતી. માર્ગો પરથી પસાર થતા મોપેડ, બાઇક અને સાયકલ સવાર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા વાહનચાલકોને સલામતી માટે રસ્તા પર જ થંભી જવાની ફરજ પડી હતી. વલસાડ જિલ્લો તેની હાફૂસ અને કેસર કેરી માટે જાણીતો છે. હાલમાં આંબા પર મોર (ફૂલ) અને નાની કેરીઓ બેસવાની પ્રક્રિયા ચાલી રહી છે. આવા સમયે આવેલા વાતાવરણના પલટાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ભારે પવનને કારણે આંબા પરથી મોર ખરી જવાની શક્યતા છે, તેમજ વાતાવરણમાં ભેજ અને પલટાને કારણે કેરીના પાકમાં મધિયો કે અન્ય રોગ આવવાનો ભય સતાવી રહ્યો છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ અચાનક આવેલા પલટાને કારણે લોકોની દિનચર્યા ખોરવાઈ હતી. ધૂળની ડમરીઓના કારણે રાહદારીઓને આંખ અને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. હવામાન વિભાગે હજુ પણ આગામી સમયમાં છૂટાછવાયા ફેરફારોની સંભાવના વ્યક્ત કરી છે, જેના પગલે વહીવટી તંત્ર અને ખાસ કરીને બાગાયત વિભાગ સતર્ક બન્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 10:22 pm

ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મહિલાનું પર્સ ચોરાયું:મહિલા પતિ સાથે ભુજથી મુંબઈ જતી હતી, દંપતી સૂતુ હતું ને રાત્રિના ગઠિયો 2.15 લાખની મતા ચોરી ફરાર

મુંબઈ ખાતે રહેતી મહિલા પતિ સાથે ભુજ એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને પરત આવી રહ્યા હતા. દરમિયાન સાથે ટ્રેનમાં દંપતિ ઊંઘી જતા મોડી રાત્રિના સમયે તેમનો રૂપિયા 2.15 લાખની મતા ભરેલું પર્સ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ઊંઘમાંથી જાગ્યા બાદ મહિલાને પર્સ નહીં જોવા મળતા શોધખોળ કરી પરંતુ કોઈ પતો લાગ્યો ન હોય પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દંપતી ભુજથી મુંબઈ જતું હતુંમુંબઈ ખાતે રહેતા રીટાબેન કેતનભાઇ શાહ તેમના પતિ સાથે ભુજથી મુંબઈ જવા માટે ભુજ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા. તેઓ કોચ A/1 માં સીટ નં. 45 પર બેઠા હતા અને રાત્રિના સમયે પોતાનું લેડીઝ હેન્ડપર્સ માથા પાસે રાખીને ઊંઘી ગયા હતા. આ દરમિયાન રાત્રિના સમયે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન નજીક ધીમી ગતિએ પસાર થઈ રહી હતી. ત્યારે ચોરે તકનો લાભ લઈ હેન્ડપર્સ ચોરી લીધું હતું. રાત્રિના ગઠિયો 2.15 લાખની મતા ચોરી ફરારમહિલા જ્યારે ઊંઘમાંથી જાગી હતી ત્યારે તેમને પોતાનું પર્સ સીટ પર ન દેખાતા કોચમાં શોધખોળ કરી હતી પરંતુ પર્સ મળી આવ્યું નહોતું. ચોરાયેલા હેન્ડપર્સમાં મોબાઇલ ફોન રૂ.50 હજાર, 15 ગ્રામ સોનાની કાનની વેઢી રૂ. 1.5 લાખ, રૂ.15 હજાર રોકડ, આધારકાર્ડ, પાનકાર્ડ, બેંકના બે ક્રેડિટ કાર્ડ તેમજ ઘરની ચાવીઓ સહિત કુલ રૂ.2.15 લાખનો મુદ્દામાલ મૂકેલો હતો. રીટાબેનની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 9:48 pm

9 વર્ષની બાળકી સાથે અડપલાં કરનાર શખસને 7 વર્ષની કેદ:આરોપીએ પોતાની દીકરીની બહેનપણીને લાલચ આપી ઘરમાં બોલાવી આચર્યું હતું દુષ્કૃત્ય

સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતી 9 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં કરનાર 44 વર્ષીય આરોપીને કોર્ટે કડક સજા ફટકારી છે. પોતાની જ દીકરીની બહેનપણીને લાલચ આપી ઘરમાં બોલાવી છેડતી કરનાર ફોટોગ્રાફર ભરત પટેલને સ્પેશિયલ પોક્સો કોર્ટે 7 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. આરોપીએ દીકરીની બહેનપણીને જ રૂમમાં બોલાવીબનાવની વિગત મુજબ, પીડિત 9 વર્ષીય બાળકી તેના સહપાઠી કલાસમેટ સાથે તેના ઘરે ગઈ હતી. આ દરમિયાન સાથી વિદ્યાર્થીના પિતા ભરત પટેલે બાળકીને લાલચ આપી એક રૂમમાં બોલાવી હતી. આરોપીએ બાળકીના કપડાં કાઢી તેની સાથે અડપલાં કરવાનું શરૂ કર્યું હતું. જોકે, આ જ સમયે આરોપીના ફોનની રિંગ વાગતા તેનું ધ્યાન ભટકાયું હતું, જેનો લાભ લઈ બાળકી ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહી હતી. આરોપીને સખતમાં સખત સજા થાય એવી સરકારી વકીલની દલીલોબાળકીએ ઘરે જઈને પરિવારને આપવીતી જણાવતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ કેસ સુરતના નવમાં એડિશનલ સેશન્સ જજ ભાવેશ કે. અવાશિયાની કોર્ટમાં ચાલ્યો હતો. એપીપી દિપેશ દવેએ દલીલ કરી હતી કે, આરોપીએ પિતા સમાન સંબંધને કલંકિત કર્યો છે. આવા કિસ્સાઓ સમાજ માટે ખતરારૂપ હોવાથી આરોપીને સખતમાં સખત સજા થવી જોઈએ. કોર્ટે આરોપી ભરત પટેલને 7 વર્ષની કેદની સજા ફટકારી બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી ભરત પટેલને દોષિત ઠેરવી 7 વર્ષની કેદની સજા ફટકારી છે. આરોપી વ્યવસાયે ફોટોગ્રાફર છે અને તેણે પોતાના સંતાનની મિત્ર એવી માસૂમ બાળકીને જ શિકાર બનાવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 9:45 pm

‘ઊર્જા મથકોને નિશાન બનાવવાનું ટાળો, નહીં તો...’ પશ્ચિમ એશિયામાં હુમલા બાદ ભારતની ચેતવણી

India Warns on West Asia Conflict : પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને ઓઈલ-ગેસ પ્લાન્ટો પર થઈ રહેલા હુમલાઓ અંગે ભારતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ભારત સરકારે ગુરુવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ઉર્જા મથકો પર થઈ રહેલા આવા હુમલા અસ્વીકાર્ય છે અને તેને તાત્કાલિક રોકવા જોઈએ. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, ‘ઊર્જા મથકોને નિશાન બનાવવાનું ટાળો, નહીં તો વૈશ્વિક ઊર્જા ક્ષેત્ર વધુ અસ્થિર બનશે.’ આવા હુમલાઓથી વૈશ્વિક ઉર્જા ક્ષેત્ર વધુ અસ્થિર બનશે : ભારત વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે આ હુમલાઓને અત્યંત પરેશાન કરનારા ગણાવ્યા છે.

ગુજરાત સમાચાર 19 Mar 2026 9:43 pm

ગુજરાતમાં ભારે પવન સાથે 72 તાલુકામાં માવઠું, સૌથી વધુ બગસરામાં 1.61 ઇંચ, જુઓ કયાં-કેટલો ખાબક્યો

Unseasonal Rain In Gujarat : રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્ર, અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. આજે (19 માર્ચ) રાત્રે 8 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં માવઠું થયુ છે. જેમાં સૌથી અમરેલીના બગસરામાં 1.61 ઇંચ કમોસમી વરસાદ ખાબક્યો છે. 72 તાલુકામાં માવઠું

ગુજરાત સમાચાર 19 Mar 2026 9:31 pm

બેડીની સીમમાં 'મેળા ધાર' તરીકે ઓળખાતી વાડીની ઓરડીમાંથી દારૂ ઝડપાયો:એશિયન પેઇન્ટ્સ કંપનીના બારકોડ અને ક્યુઆર કોડ સાથે છેડછાડ કરી ગેરકાયદે વેચાણ કરતો શખસ ઝડપાયો

રાજકોટ શહેરમાં જાણીતી કંપનીઓના નામે છેતરપિંડી અને કોપીરાઇટના ભંગના કિસ્સાઓ વધી રહ્યા છે. તાજેતરમાં શહેરના એ-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એશિયન પેઇન્ટ્સ કંપનીના ઉત્પાદનોના બારકોડ અને ક્યુઆર કોડ સાથે છેડછાડ કરી તેનું ગેરકાયદે વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે કેનાલ રોડ પર આવેલી એક દુકાનમાં દરોડો પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. કંપનીમાં આસિસ્ટન્ટ ઇન્વેસ્ટિગેશન મેનેજર તરીકે ફરજ બજાવતા સુભાષભાઈ હરીશચંદ્રભાઈ જયશવાલે આ મામલે ફરિયાદ નોંધાવી છે. એશિયન પેઇન્ટ્સ કંપની વતી કાયદેસરની કાર્યવાહી કરવાની સત્તા ધરાવતી આ એજન્સીએ બાતમીના આધારે કેનાલ રોડ પર શ્રીનાથજી કોમ્પ્લેક્સમાં આવેલી અપ્પુ પેઇન્ટ્સ નામની દુકાન પર નજર રાખી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે દુકાનદાર એશિયન પેઇન્ટ્સના કન્ટેનર પરના બારકોડ અને ક્યુઆર કોડ પર માર્કર પેનથી ટપકા કરી છેડછાડ કરતો હતો. જેથી ઉત્પાદનની વિગતો ટ્રેક ન થઈ શકે. 18 માર્ચ, 2026ના રોજ સાંજે અંદાજે 5 વાગ્યે એ-ડીવીઝન પોલીસ અને કંપનીના પ્રતિનિધિઓએ સંયુક્ત રીતે ‘અપ્પુ પેઇન્ટ્સ’માં દરોડો પાડ્યો હતો. દુકાનમાં હાજર માલિક ચિરાગભાઈ મહેન્દ્રભાઈ ઉદેશીની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દુકાનમાંથી એશિયન પેઇન્ટ્સના અલગ-અલગ પ્રોડક્ટ્સના કુલ 66 નંગ કન્ટેનર મળી આવ્યા હતા, જેના બારકોડ સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ.4,66,210 થાય છે. ઓરડીમાંથી રૂ.9.39 લાખનો વિદેશી દારૂ ઝડપાયો રાજકોટ શહેર એલ.સી.બી. ઝોન 1 ટીમને બાતમી મળી હતી કે, વાછકપર બેડી ગામનો રહેવાસી દિવ્યેશભાઇ નારણભાઇ ચંદરોલા પોતાની વાડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને હાજર છે. આ બાતમીના આધારે પોલીસે વાડીમાં આવેલી ઓરડીમાં તપાસ હાથ ધરી ત્યારે ઓરડીમાં પ્લાસ્ટિકના કોથળા પાછળ અને વાડીમાં ઘાસના ઢગલા નીચે છુપાવેલી ઇંગ્લીશ દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે ​9.33 લાખથી વધુ કિંમતના વિદેશી દારૂના 3120 ચપલા અને એક મોબાઈલ ફોન કબ્જે કરી કાયદેસેની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા આરોપી દિવ્યેશ ચંદરોલાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો તેના મિત્ર શક્તિસિંહ પરમારએ ત્યાં રખાવ્યો હતો. જેથી હાલ પોલીસે શક્તિસિંહ પરમારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.​ હાઈટેન્શન વીજ લાઇનને અડકી જતા શોક લાગતા યુવાન પટકાયો રાજકોટમાં મજૂરી કામ કરતા મુકેશ નિસાદ (ઉ.વ.26) ગઈકાલે સાંજના 5 વાગ્યા આસપાસ કોઠારીયા નાકા પોલીસ ચોકી પાસે આવેલી એક બિલ્ડિંગમાં સેન્ટિંગનું કામ કરી રહ્યો હતો દરમિયાન અચાનક નજીકમાંથી પસાર થતો વીજ તાર અડી ગયો હતો જેમાં વીજ પ્રવાહ એટલો જોરદાર હતો કે તાર અડતાની સાથે જ મોટો ભડકો થયો હતો અને વીજ શોકને કારણે મુકેશ ગંભીર રીતે દાઝી ગયો હતો. વીજળીના ઝટકાને કારણે સંતુલન ગુમાવી પહેલા માળ પરથી નીચે જમીન પર પટકાયો હતો. અકસ્માતમાં તેમને દાઝ્યાની સાથે શરીરે અન્ય ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી જેથી તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જ્યાં હાલ તેની સારવાર ચાલુ છે. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બાંધકામની સાઈટ પર સુરક્ષાના સાધનો હતા કે નહીં અને વીજ તાર આટલી નજીક હોવા છતાં કામ કેમ ચાલુ રાખવામાં આવ્યું હતું તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. કારખાનેદાર સાથે ધંધાના નામે સાયબર ફ્રોડ આચરનાર ગઠિયાને ઝડપી લેવાયો શાપરના કારખાનેદારને સોશિયલ મીડિયા મારફત સંપર્ક કરી એફ.આર.પી, મેવોલ કવર બનાવો છો, અમારે દર મહીને 20થી 22 ગાડી સપ્લાયની જરૂરિયાત છે કહીં નેપાળ બોર્ડરની ગવર્ન્મેન્ટ એપ્રુવલ લેવાના નામે રૂ.5300 પડાવી લેવાના સાયબર ફ્રોડ કેસમાં કુખ્યાત ગઠિયાને શાપર પોલીસે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી વિશાલ ઉર્ફે કાનો હેમંત કણસાગરા (ઉ.વ.32)ને પકડી પાડી ગુન્હામાં ગયેલ તમામ મુદામાલ રોકડ રૂ.5,300 રીકવર કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં આરોપી અલગ અલગ સોશિયલ મિડીયાના પ્લેટફોર્મ મારફતે ધંધાર્થી વ્યક્તિઓ બાબતે જરૂરી માહિતી મેળવી તેમનો ઓનલાઇન સંપર્ક કરી ધંધાકીય વ્યવહાર બાબતે જરૂરી વાતચિત કરી, અલગ અલગ બહાના હેઠળ અંગત આર્થિક ફાયદા સારુ સાઇબર ફોડના નાણા મેળવી ગુન્હો આચરવાની ટેવ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી વિરુદ્ધ જામનગર સાયબર ક્રાઈમ પોલીસમાં 2 ગુના તેમજ જામનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી અંગે 8 અને પોરબંદર ખાતે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં એક મળી કુલ 11 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મોબાઈલ નેટવર્કના ગેરકાયદે બુસ્ટરોનો જથ્થો કબજે શહેરમાં મોબાઈલ નેટવર્કની ગુણવત્તા જાળવવા માટે કેન્દ્ર સરકારના ટેલિકોમ વિભાગ સાથે સંકળાયેલા વાયરલેસ મોનિટરિંગ સ્ટેશન, અમદાવાદની ટીમ દ્વારા રાજકોટ અને લોધીકા જીઆઇડીસીમાં ગેરકાયદેસર મોબાઇલ સિગ્નલ બૂસ્ટર સામે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન શહેરના પેડક રોડ, રણછોડનગર તથા લોધીકા જીઆઇડીસી વિસ્તારમાં તપાસ કરીને અનેક અનધિકૃત સિગ્નલ બૂસ્ટર્સ શોધી કાઢવામાં આવ્યા અને તેમને જપ્ત કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, ગેરકાયદેસર બૂસ્ટરનો ઉપયોગ ઘણીવાર લોકો પોતાના વિસ્તારમાં નેટવર્ક સુધારવા માટે કરે છે, પરંતુ વાસ્તવમાં તે સમસ્યા હલ કરવાની જગ્યાએ વધુ ગંભીર બનાવે છે. આવા ઉપકરણોના કારણે મોબાઇલ હેન્ડસેટ વધુ પાવરથી સિગ્નલ ટ્રાન્સમિટ કરે છે, જેના પરિણામે નજીકના ટાવરો પર ભાર વધે છે અને સમગ્ર વિસ્તારમાં નેટવર્ક કનેક્ટિવિટી નબળી પડે છે. જેથી ફરીયાદો ઉઠતા વાયરલેશ મોનિટરીંગ સેલ દ્રારા ખાસ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 9:26 pm

બોટાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી:જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ પર જીતના ભાજપ-કોંગ્રેસના દાવા

બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. જિલ્લા પંચાયત, ચાર તાલુકા પંચાયતો અને બે નગરપાલિકાની મુદત પૂર્ણ થતાં હાલ વહીવટદાર શાસન લાગુ કરાયું છે. આગામી દિવસોમાં ચૂંટણીની તારીખો જાહેર થવાની સંભાવના વચ્ચે મુખ્ય રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. બોટાદ જિલ્લા પંચાયત ઉપરાંત ગઢડા, બોટાદ, રાણપુર અને બરવાળા તાલુકા પંચાયતો તેમજ બોટાદ અને બરવાળા નગરપાલિકામાં સત્તા મેળવવા ભાજપ અને કોંગ્રેસ બંને સક્રિય બન્યા છે. બંને પક્ષો દ્વારા બેઠકો યોજી સંગઠનને મજબૂત બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. જિલ્લા કોંગ્રેસ પક્ષે ભાજપ પર વિકાસના અભાવ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા રમેશભાઈ શીલુએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં સ્થાનિક સ્તરે યોગ્ય વિકાસ થયો નથી, જેના કારણે લોકો પરિવર્તન ઈચ્છે છે અને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને તક આપશે. બીજી તરફ, ભાજપે કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કોંગ્રેસ પાસે કોઈ મજબૂત મુદ્દો નથી અને તે ફક્ત ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને મતદારોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારના કામોથી પ્રભાવિત જનતા ફરી એકવાર ભાજપને જ સત્તા સોંપશે. હાલ બોટાદ જિલ્લામાં બંને પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચાલી રહ્યો છે અને બંને પક્ષો પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતા કયા પક્ષને પસંદ કરે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 9:25 pm

ગોધરામાં વાતાવરણ પલટાયું, તેજ પવન ફૂંકાયો:માર્ગો પર ધૂળની ડમરીઓ ઉડી ધૂંધળું વાતાવરણથી વાહન ચાલકોને મુશ્કેલી

ગોધરા શહેરમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેજ પવન ફૂંકાવા સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં દિવસભર અસહ્ય ગરમી અને બફારો અનુભવાયો હતો. જોકે, સાંજે વાતાવરણ બદલાતા નગરજનોને ગરમીથી આંશિક રાહત મળી હતી. વાતાવરણમાં પલટો આવતાની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં અત્યંત તેજ ગતિએ પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. પવનની ગતિને કારણે રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી, જેના પરિણામે સમગ્ર વાતાવરણ ધૂંધળું બની ગયું હતું અને દૃશ્યતા ઘટી ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 9:04 pm

મનપાનું લોંખડનું બોર્ડ પડતા યુવકનું કમકમાટીભર્યું મોત:સુરતમાં મીની વાવાઝોડાનો કહેર, ભારે પવનને કારણે અનેક સ્થળોએ હોર્ડિંગ-વૃક્ષો ધરાશાયી

સુરતમાં અચાનક બદલાયેલા વાતાવરણ અને ફૂંકાયેલા મીની વાવાઝોડાએ શહેરભરમાં ભારે તારાજી સર્જી છે. આ કુદરતી આફત એક યુવક માટે કાળ બનીને આવી હતી. જેમાં સુરત મહાનગરપાલિકાનું બોર્ડ પડવાને કારણે તેનું કરૂણ મોત નીપજ્યું છે. શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ફૂંકાયેલા તેજ પવન અને મીની વાવાઝોડાએ સુરતને બાનમાં લીધું હતું. ભારે પવનના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં હોર્ડિંગ, પતરા અને વૃક્ષો ધરાશાયી થવાની અનેક ઘટનાઓ બની છે. પર્વત પાટિયામાં મહાનગરપાલિકાનું બોર્ડ બન્યું કાળસુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા શાયોના પ્લાઝા પાસે ભારે પવનને કારણે સુરત મહાનગરપાલિકાનું એક વિશાળ લોખંડનું બોર્ડ ધરાશાયી થયું હતું. કમનસીબે, આ બોર્ડ યુવક પર પડ્યું હતું. બોર્ડ એટલું વજનદાર હતું કે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘુઘરા વેચતા નીતિનભાઈ પર લોખંડનું બોર્ડ પડ્યુંમળતી માહિતી પ્રમાણે, મૂળ રાજકોટ 48 વર્ષીય નીતિન જયંતિભાઇ વાજા કારગિલ ચોક ખાતે આવેલી ત્રિવેણી સંગમ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતા. નીતિનભાઈ પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થવા માટે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા શાયોના પ્લાઝા પાસે ઘુઘરા વેચતા હતા. આજે સાંજના સમયે નીતિનભાઈ ટેબલ નાખીને ઘુઘરા વેચી રહ્યાં હતાં, ત્યારે ફુકાયેલા મીની વાવાઝોડામાં મહાનગરપાલિકાનું ભારે ભરખમ લખંડનું બોર્ડ તેમના પર તૂટી પડ્યું હતું. ગંભીર ઈજાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. શહેરના અન્ય વિસ્તારોમાં સર્જાયેલી તારાજીમાત્ર પર્વત પાટિયા જ નહીં, પણ શહેરના અનેક વિસ્તારોમાં વાવાઝોડાએ નુકસાન પહોંચાડ્યું છે. નાનપુરા વિસ્તારમાં એક વિશાળ ઝાડ કાર પર પડ્યું હતું, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પીપલોદની શારદાયતન સ્કૂલ પાસે પણ ઝાડ પડ્યું હતું. આ ઉપરાંત, ઉમરા ગામમાં મોટું વૃક્ષ રસ્તા પર પડતા વાહનવ્યવહાર માટે રોડ બંધ કરવાની ફરજ પડી હતી. પતરાનો શેડ ઉડીને નીચે પડ્યોપૂણા લેન્ડમાર્ક પાસે લોખંડનો પોલ ધરાશાયી થયો હતો. કતારગામ-ડભોલી ચાર રસ્તા પાસે અશોકવાટિકા નજીક એક કોમર્શિયલ શોપિંગ સેન્ટરના ત્રીજા માળેથી આખો પતરાનો શેડ ઉડીને નીચે પડ્યો હતો. સિંગણપોર વિસ્તારમાં એક તોતિંગ વૃક્ષ શાક માર્કેટમાં પડતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ તમામ ઘટનાઓમાં અન્ય કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. વાહનવ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસોઘટના બાદ સુરત ફાયર બ્રિગેડ અને પાલિકાની ટીમો હરકતમાં આવી છે. રસ્તા પર પડેલા વૃક્ષો અને હોર્ડિંગ્સ હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વાવાઝોડાને પગલે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 9:00 pm

લુણાવાડાના કાલિકા માતા ડુંગર પર વિકરાળ આગ ભભૂકી:વન અને ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલુ

મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આવેલા કાલિકા માતા ડુંગર પર આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. લુણાવાડા શહેરના મધ્યમાં આવેલા આ ડુંગરના નીચલા ભાગે અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખા ડુંગરને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. આગ નીચેથી ફેલાઈને ઉપર મંદિર સુધી પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ લુણાવાડા ફાયર બ્રિગેડ અને વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ પવન વધુ હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે. ફાયર ટીમ અને વન વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 8:49 pm

વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ:સ્થળ ઉપરથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, દારૂ ખરીદવા આવેલા ગ્રાહકોને પણ દબોચી લીધા, બુટલેગર ફરાર, 11 વાહનો જપ્ત કર્યા

વડોદરા શહેરના ગોરવા વિસ્તારના પંચવટી વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમિયાન સ્થળ પરથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. દારૂ લેવા માટે આવેલા ગ્રાહકોને દબોચી લેવામાં આવ્યા હતા.પોલીસના દરોડા દરમિયાન મુખ્ય બુટલેગર સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી તેમજ જુગારના અડ્ડા ઉપર અવારનવાર સપાટો બોલાવવામાં આવે છે. SMCની ટીમને બાતમી મળી હતી કે, ગોરવા પંચવટી વિસ્તારમાં બુટલેગર ભાવેશ દ્વારા મોટી માત્રામાં વિદેશી દારૂ ઉતારવામાં આવે છે અને તેનો બિન્દાસ રીતે વેચાણ પણ કરવામાં આવે છે. આ દરમિયાન 19 માર્ચના રોજ સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગંગાનગર કેનાલ પાસે રેડ કરવામાં આવી હતી. જેમાં સ્થળ ઉપરથી લાખોની મત્તાના દારૂના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દારૂ ખરીદી કરવા માટે આવેલા કેટલાક ગ્રાહકોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. SMCએ વિદેશી દારૂનો જથ્થો અને 11 વાહનો મળીને લાખોની મત્તાનો મુદ્દામાલ કબજે કરીને જવાહર નગર પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે..

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 8:47 pm

ભરૂચમાં ભારે પવન ફૂંકાયો:માર્ગો પર ધૂળની ડમરીઓની સાથે અનેક વિસ્તારોમાં પતરા અને હોર્ડિંગ્સ ઉડ્યાં

ભરૂચ શહેરમાં સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. જેથી શહેરમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા. ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડતા માર્ગો પર દૃશ્યતામાં ઘટાડો થયો હતો, જેના લીધે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. શહેરના બજાર વિસ્તારોમાં વેપારીઓએ પોતાનો સામાન સુરક્ષિત રાખવા માટે તાત્કાલિક પગલાં લીધા હતા. વાવાઝોડાની અસર નેશનલ હાઈવે 48 પર પણ જોવા મળી હતી. શહેર નજીક શિવકૃપા હોટલ પાસે એક કેબિન પવનના જોરદાર ઝાપટાથી ઉડીને હાઈવે પર પડી હતી. સદનસીબે, તે સમયે કોઈ વાહન પસાર ન થતાં મોટી જાનહાનિ ટળી હતી. આ ઉપરાંત, શહેરના અનેક વિસ્તારોમાં પતરા અને હોર્ડિંગ્સ ઉડી જવાના બનાવો પણ સામે આવ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ આવા અસ્થિર વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે, જેના પગલે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 8:44 pm

કાર લે-વેચના ધંધાર્થી સાથે મિત્રનો વિશ્વાસઘાત:બોગસ દસ્તાવેજ બનાવી વાહનો બીજાના નામે ટ્રાન્સફર કર્યા, બેંકમાાંથી લોન પોતાના ખાતામાં જમા કરાવનાર શખસની ધરપકડ

રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા અને જૂની ફોર વ્હીલ લે-વેચનો વ્યવસાય કરતા એક પ્રૌઢ સાથે તેના જ મિત્રએ વિશ્વાસઘાત કરી, બનાવટી દસ્તાવેજોના આધારે કાર વેચી બેન્કમાંથી લોન પોતાના એકાઉન્ટમાં જમા લઇ છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાતા રાજકોટ શહેર SOG પોલીસે આરોપી આનંદ ઉર્ફે અમિત ખખ્ખરની ધરપકડ કરી પાંચ મોટર કાર સહિત કુલ 21.05 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેર SOG પોલીસ ટિમ દ્વારા ભેજાબાજ ચીટરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી આનંદ ઉર્ફે અમિત ખખ્ખર (ઉ.વ.29) જૂની ગાડી લે વેચનું કામ કરે છે જે પોતે ગુજરાત અને ગુજરાત બહાર અન્ય રાજ્યમાંથી મોટર કાર વેચવા માટે લાવતો હતો અને તેમાં પોતે મૂળ માલિક પાસેથી એનકેન પ્રકારે ગાડીની ઓરીજીનલ RC બુક મેળવી બાદમાં તેની ડુપ્લીકેટ કોપી બનાવી મૂળ માલિકની નજર ચૂકવી ઓરીજીનલ RC બુક પોતે મેળવી લેતો હતો. આ પછી ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી કાર ઉપર લોન પણ મેળવી લેતો હતો જેની રકમ પોતાના બેન્ક એકાઉન્ટમાં લઇ ગાડીના માલિક સાથે છેતરપિંડી આચરતો હતો. હાલ પોલીસ તેની ધરપકડ કરી તેની પાસેથી કુલ અલગ અલગ કંપનીની 5 ફોર વ્હિલ કાર અને એક મોબાઈલ મળી કુલ 21.05 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શું હતી મોડેસ ઓપરેન્ડી?પોલીસના જણાવ્યા મુજબ આરોપી આનંદ ઉર્ફે અમિત જે લોકો પોતાની જૂની મોટરકાર વહેચવા માંગતા હોય તેનો સંપર્ક કરતો હતો અને તેમની પાસેથી ગાડીની RC બુકના ફોટા મંગાવતો હતો બાદમાં તેના ઉપરથી ડુપ્લીકેટ કલર RC બુક બનાવી અને બાદમાં વાહન માલીકને રૂબરૂ મળી RC બુક જોવા માટે માંગી અને બાદમાં મૂળ માલિકની નજર ચૂકવી કોઈ પણ રીતે છળકપટથી ઓરીજનલ RC બુક પોતે મેળવી લેતો હતો. બાદમાં ડુપ્લીકેટ RC બુક વાહન માલીકને પરત આપી દેતો હતો. આ પછી ટી.ટી.ઓ ફોર્મમા પણ બનાવટી સહી કરી ગાડી ઉપર બેન્કમાંથી ગાડી લેનાર ગ્રાહકના નામે લોન મેળવી તે લોન પોતાના ખાતામા જમા કરાવી લેતો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા અને ઊંડાણ પૂર્વક તપાસ માટે તજવીજ હાથ ધરી છે. ટી.ટી.ઓ. ફોર્મમાં ખોટી સહી કરી બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યા​ફરિયાદી બકુલભાઈ મોહનભાઈ રાઠોડ (ઉ.વ.51) જેઓ જૂની ગાડીઓની લે-વેચનું કામ કરે છે, તેઓએ તેમના મિત્ર નયનભાઈ સાવલીયા પાસેથી એક હોન્ડા અમેઝ કાર રૂ.2,35,000માં ખરીદવાનું નક્કી કર્યું હતું. આ ગાડી આગળ વેચવા માટે તેમણે તેમના અન્ય એક મિત્ર આનંદ ઉર્ફે અમિત નવીનભાઈ ખખ્ખરને આપી હતી. આનંદ ખખ્ખરે બકુલભાઈના ઘરે જઈ ઓરીજનલ આર.સી. બૂક અને અન્ય દસ્તાવેજોના ફોટા પાડવાના બહાને બકુલભાઈની જાણ બહાર ઓરીજીનલ દસ્તાવેજો મેળવી લીધા હતા અને ત્યારબાદ આરોપી આનંદે ગાડીના મૂળ માલિક ભાવેશભાઈ મકવાણાની ટી.ટી.ઓ. ફોર્મમાં ખોટી સહી કરી બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યા હતા. નકલી દસ્તાવેજના આધારે ગાડી અન્ય શખસને વેચી દીધીનકલી દસ્તાવેજોના આધારે અમિતે ગાડી શેખ સારૂકમીયા નજુમીયા નામના વ્યક્તિને રૂ.2,82,000માં વેચી દીધી હતી. ​આ પછી રાજકોટ એસ.ઓ.જી. પોલીસને શંકાસ્પદ મિલકત તરીકે આ ગાડી મળી આવતા તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ગાડીના ઓરીજીનલ દસ્તાવેજો હજુ પણ ફરિયાદી બકુલભાઈ પાસે છે છતાં ગાડી અન્યના નામે ટ્રાન્સફર થઈ ગઈ છે. જેમાં આરોપી આનંદે બકુલભાઈને ગાડીના નક્કી કરેલા રૂ.2,35,000 પણ ચૂકવ્યા ન હતા. આ મામલે બકુલભાઈ રાઠોડની ફરિયાદના આધારે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપી આનંદ ઉર્ફે અમિત નવીનભાઈ ખખ્ખર વિરુધ્ધ BNSની કલમ 318(4), 336(2), 336(3), 338 અને 340(2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 8:43 pm

ગેસલાઈન નાખતી સમયે વીજકંરટ લાગતા શ્રમિકનું મોત, CCTV:3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી, વડસરની વલ્લભ વાટિકા સોસાયટીનો બનાવ

વડોદરા શહેરના વડસર રોડ પર આવેલી વલ્લભ વાટિકા સોસાયટીમાં આજે એક કરુણ ઘટના બની છે. ગેસ લાઈનની કામગીરી દરમિયાન વીજ કરંટ લાગવાને કારણે એક 35 વર્ષીય શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટનામાં સુરક્ષાના સાધનોનો અભાવે કામદારનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે. માંજલપુર પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડસર રોડ પર આવેલી વલ્લભ વાટિકામાં છેલ્લા એક અઠવાડિયાથી ગેસ લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન મૂળ રાજસ્થાનના વતની એવા 35 વર્ષીય અડીયાભાઈ પટેલ કામગીરી કરી રહ્યા હતા. ખોદકામ અથવા પાઈપ લાઈન ફિટિંગ દરમિયાન અચાનક વીજ લાઈન સાથે સંપર્ક થતા તેમને જોરદાર કરંટ લાગ્યો હતો. કરંટ એટલો ભયાનક હતો કે અડીયાભાઈનું સ્થળ પર જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. 'સુરક્ષાના સાધનો ઉપલબ્ધ હોતો તો કામદારનો જીવ બચી જાત'સ્થાનિકો અને કામદારોમાં એવી ચર્ચા છે કે જો કામગીરી વખતે પૂરતા સુરક્ષાના સાધનો ઉપલબ્ધ હોત, તો કદાચ આ શ્રમિકનો જીવ બચી શક્યો હોત. કોન્ટ્રાક્ટર કે જવાબદાર તંત્ર દ્વારા કામદારોની સુરક્ષાને લઈને કરવામાં આવતી બેદરકારી ફરી એકવાર સામે આવી છે. ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવીમૃતક અડીયાભાઈ રાજસ્થાનથી વડોદરા મજૂરીકામ માટે આવ્યા હતા. તેમના મોતના સમાચાર મળતા જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. અડીયાભાઈને સંતાનમાં 3 બાળકો છે, જેમણે પિતાની છત્રછાયા ગુમાવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને આ મામલે તપાસ હાથ ધરી છે. વલ્લભ વાટિકાના પ્રમુખ રોનક મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વડોદરા ગેસ લિમિટેડ દ્વારા જે નોર્મલ પ્રોસીજર હોય છે, તે મુજબ જ કામ ચાલી રહ્યું હતું. આગળની સોસાયટીઓમાં પણ કામ થયેલું છે. ફોર્મ ભરીને અને મંજૂરી મેળવ્યા બાદ સર્વે કરીને કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામ હવે તેના છેલ્લા તબક્કામાં હતું, ફક્ત થોડી લાઇન બાકી હતી. વડોદરા ગેસ લિમિટેડ દ્વારા તેમના નિર્ધારિત કોન્ટ્રાક્ટરોને આ કામ સોંપવામાં આવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પણ સોસાયટીનું કે કોર્પોરેશનનું કોઈ પણ કામ ચાલતું હોય, ત્યારે કામ કરનારાઓએ પાયાની સાવચેતી રાખવી જોઈએ. અમે પહેલા દિવસથી જ જ્યારે પ્રથમ ખાડો ખોદવામાં આવ્યો હતો, ત્યારે જ સૂચના આપી હતી કે, અંડરગ્રાઉન્ડ કેબલ્સ કે અન્ય કોઈ વસ્તુનું ધ્યાન રાખવું. હજુ પણ GEB દ્વારા ફાઇનલ ચેકિંગ થયા બાદ જ ખબર પડશે કે ડાયરેક્ટ કરંટ ક્યાંથી લાગ્યો છે, પણ અમને લાગે છે કે આ ઘટના કરંટ લાગવાને કારણે જ બની છે. તેઓએ કહ્યું કે, જે મજૂર કામ કરી રહ્યો હતો, તેના સાથીદારોએ થોડીવાર પછી આવીને જોયું તો તે હલતો ન હતો. પહેલા તેમણે પથ્થર મારીને જોયું, પણ કોઈ પ્રતિસાદ ન મળ્યો. ત્યારબાદ તેમણે મને ફોન કર્યો અને હું ઘરે આવ્યો હતો. અમારી સોસાયટીમાં જ એક ડોક્ટર રહે છે, તેમણે પણ તપાસ કરી હતી. બાજુમાં રહેતા એક પોલીસ અધિકારીની સલાહ મુજબ અમે 112 પર ફોન કર્યો હતો અને એમ્બ્યુલન્સ આવી હતી. તપાસ બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. GEB ની ટીમને પણ બોલાવવામાં આવી હતી જેથી મેઈન લાઈન બંધ કરીને વધુ જોખમ ટાળી શકાય. કોન્ટ્રાક્ટર ક્યારે સેફટીના સાધન આપે છે, ક્યારેક નથી આપતા- કામદારકામદાર અરવિંદભાઈએ જણાવ્યું હતું કે, સાહેબ, અહીં છેલ્લા એક અઠવાડિયાથી ગેસ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. અમે લોકો ત્યાં જ કામ કરતા હતા. હું બીજી બાજુ કામ કરી રહ્યો હતો અને જે વ્યક્તિ સાથે આ ઘટના બની તે ખાડામાં કામ કરી રહ્યા હતા. ખાડામાં શું થયું તેની મને બહુ જાણ નથી. પણ જ્યારે મેં જોયું ત્યારે તેઓ ખાડામાં પડ્યા હતા. કદાચ તેમને કરંટ લાગ્યો હોય એવું લાગે છે. અમે તરત જ તેમને બહાર કાઢ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટર સેફ્ટીના સાધનો તો આપે છે, પણ ક્યારેક અપાય છે અને ક્યારેક નથી અપાતા. પણ આ ઘટના તો અચાનક જ ઘટી ગઈ.. મૃતકનો પરિવાર રાજસ્થાનમાં રહે છે. તેમને ત્રણ બાળકો અને પત્ની છે. તેઓ ઘરેથી નીકળી ગયા છે અને વડોદરા આવવા માટે રસ્તામાં જ છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 8:38 pm

મોરવા હડફના ખુદરામાં 72 લાખના ખર્ચે 6 ઓરડાનું ખાતમુહૂર્ત:ધારાસભ્યએ શિક્ષણ સુવિધા વધારવા નિર્માણ કાર્યનો પ્રારંભ કર્યો

મોરવા હડફના ખુદરા ખાતે 72 લાખ રૂપિયાના ખર્ચે છ નવા ઓરડાના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે આ કાર્યનો પ્રારંભ થયો. આ ઓરડાઓના નિર્માણનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનો છે. આનાથી વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં કોઈ અગવડતા નહીં પડે અને તેઓ 'ભણતર સાથે ગણતર' કરી શકશે. આ નિર્માણ કાર્ય મોરવા હડફ તાલુકાની ખુદરા પ્રાથમિક શાળા ખાતે હાથ ધરવામાં આવ્યું છે. ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 8:34 pm

સિંધુભવન રોડ પર મર્સિડિઝમાંથી ઇ-સિગારેટ અને દારૂની બોટલ મળી:ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝાના નામે યુવક સાથે 4.50 લાખની ઠગાઈ, બે માર્ગ અકસ્માતમાં બે મહિલાના મોત

અમદાવાદ પોલીસે રાત્રિ ચેકિંગ અને પેટ્રોલિંગ વધાર્યું છે જેને કારણે ગુનેગારોમાં થોડો ડર જોવા મળી રહ્યો છે. બોડકદેવ પોલીસ ઇન્સ્પેકટર અપૂર્વ પટેલની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે જ સિંધુભવન રોડ ગોટીલા ગાર્ડન નજીક વાહન ચેકિંગ દરમિયાન એક બ્લેક મર્સિડીઝ ગાડીમાંથી બે ઇ સિગારેટ અને એક વિલાયતી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે કારચાલક યુવકની પૂછપરછ કરતાં તેનું નામ અમન્યુ ઉર્ફે અમન હરીશભાઇ સોની (ઉ.વ. 28 રહે. એપલવૂડ વીલા, શેલા) હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે દારૂની બોટલ અને ઇ સિગારેટ જપ્ત કરી અમન્યુ ઉર્ફે અમન સોની સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝાના નામે 4.50 લાખની ઠગાઈથલતેજ પાણીની ટાંકી પાસેના રામેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા સુશીલ સોલંકી ઓલા-ઉબેરમાં ગાડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેણે પરિવાર સાથે વિદેશમાં સેટલ થવાનું નક્કી કર્યું હતું. જેના માટે તેણે વિઝા-વર્ક પરમિટની કામગીરી કોને આપવી તેનું ઓનલાઈન સર્ચ કર્યું હતું. જેમાં તેને જગતપુર ગણેશ ગ્લોરી બિલ્ડિંગમાં આવેલી “સર્ચ ઓવરસીસ”ની વિગતો મળી હતી. સુશીલ સોલંકીએ “સર્ચ ઓવરસીસ”ની ઓફિસમાં જઈને પોતાની તથા પત્ની ધર્મિષ્ઠા અને દીકરી અશ્વિની માટે ઓસ્ટ્રેલિયાના વિઝા અંગે વાત કરી હતી. ઓફિસમાં બેઠેલા મહેન્દ્રકુમાર ઈશ્વરભાઈ કોરીએ બધી વિગતો ચકાસી પરિવારના વર્ક વિઝા કરાવી આપવાના રૂપિયા 25 લાખની માંગણી કરી હતી. જેના એડવાન્સ પેટે મહેન્દ્ર કોરીએ 5 લાખ લીધા હતા. લાંબા સમય સુધી કામ ન થતાં સુશીલની ધીરજ ખૂટી ગઈ હતી. તેણે સતત પૂછપરછ કરી કામ ન થતાં રૂપિયા પરત માંગ્યા હતા. જેને પગલે ઈશ્વર કોરીએ તેને 50 હજાર રૂપિયા પરત કર્યા હતા. હવે બાકીના રૂપિયા 4.50 લાખ પરત ન કરી મહેન્દ્ર કોરીએ સોલંકી પરિવાર સાથે ઠગાઈ કરી હતી. જે અંગે સુશીલે ચાંદખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણા અને ડાભીની ટીમે વધુ તપાસ આદરી છે. આઇસર ટ્રક નીચે આવી જતા મહિલાનું મોતબાપુનગરમાં રહેતા 64 વર્ષીય પ્રભાકર વાણી નિવૃત જીવન જીવે છે. ગત 12 માર્ચે તેઓ પિતાની ઉદક વિધી હાથીજણ ભાઇના ઘરે પૂર્ણ કરીને પત્ની 58 વર્ષીય સંગીતાબેનને બાઇક પર બેસાડીને ઘરે જતા હતા. ત્યારે વટવા જીઆઇડીસી -હાથીજણ રોડ પર કીઆ કારના શો-રૂમ પાસે પહોંચ્યા તે સમયે પુરઝડપે આવી રહેલ આઇસર ટ્રક તેમની જમણી બાજુથી ઓવરટેક કરતો હતો. આ દરમિયાન બાઇક અને ટ્રકની વચ્ચેથી એક બાઇકચાલક ઝડપથી નીકળવા જતા પ્રભાકરભાઇ ગભરાઇ જતા બાઇકનું બેલેન્સ ગુમાવતા દંપતી રોડ પર પટકાયું હતું. આ દરમિયાન પાછળ આવતી આઇસર ટ્રકની નીચે સંગીતાબેન આવી જતા ઢસડાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રકચાલક નાસી ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત સંગીતાબેનને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. પૂરપાટ આવતી રિક્ષાની ટક્કરે મહિલાનું મોતબાપુનગરમાં રહેતા કમલાબેન પટણી શાકભાજીની ફેરી કરતા હતા. ગત 12 માર્ચે રાત્રિના સમયે તેઓ શાકભાજી લેવા બાપુનગર ચાર રસ્તા પાસે ગયા હતા. ત્યાંથી પરત ઘરે આવતા હતા ત્યારે સંસ્કાર આઇસ્ક્રીમની દુકાન પાસે પહોંચ્યા તે સમયે પુરઝડપે આવી રહેલ રિક્ષાચાલકે કમલાબેનને ટક્કર મારતા રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ પહોચી હતી. અકસ્માત થતા આસપાસના લોકો ભેગા થતા રિક્ષાચાલક નાસી ગયો હતો. તેમજ ઇજાગ્રસ્ત કમલાબેનને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન કમલાબેનનું મોત નિપજ્યું હતું. આ અંગે એચ ડિવિઝન ટ્રાફિક પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 8:32 pm

નકલી દાખલા બનાવતા બે આરોપીઓ ઝડપાયા:નગરપાલિકા-મામલતદાર કચેરીના ખોટા સિક્કાનો ઉપયોગ કરતાં, સાબરકાંઠા LCB એ કાર્યવાહી કરી

સાબરકાંઠા LCB એ હિંમતનગર નગરપાલિકા અને મામલતદાર કચેરીના ખોટા સહી-સિક્કાનો ઉપયોગ કરીને નકલી દાખલા બનાવતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રૂ. 1,05,850 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCB ના PI ડી.સી. સાકરીયાના જણાવ્યા અનુસાર, ટીમને ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા બાતમી મળી હતી. બાતમી મુજબ, હિંમતનગરના મહેતાપુરા, બ્રહ્માણીનગર વિસ્તારમાં રહેતો કિશોરકુમાર કનૈયાલાલ પ્રજાપતિ અને હિંમતનગર બહુમાળી ભવનમાં જનસેવા કેન્દ્રમાં આધાર ઓપરેટર તરીકે કામ કરતો ચંદ્રકેતુ ભરતભાઈ પ્રજાપતિ આ ગુનામાં સંડોવાયેલા હતા. આ બંને આરોપીઓ એવા લોકોના આધારકાર્ડ અપડેટ કરવા માટે નકલી દાખલા બનાવતા હતા, જેમના પાસે જરૂરી દસ્તાવેજોનો અભાવ હતો. તેઓ હિંમતનગર નગરપાલિકા અને મામલતદાર કચેરીના ખોટા સિક્કા બનાવી, તેનો ઉપયોગ કરીને જાતિ, આવક અને EWS જેવા ખોટા દાખલા બનાવતા હતા. આ નકલી દાખલાઓને UIDAI વેબસાઇટ પર અપલોડ કરીને તેઓ ખોટા આધારકાર્ડ બનાવતા હતા. બાતમીના આધારે LCB ની ટીમે બ્રહ્માણીનગરમાં કિશોરકુમારના ઘરે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી બંને આરોપીઓ મળી આવ્યા હતા. ટેકનિકલ તપાસમાં તેઓ ખોટા દસ્તાવેજો અને સિક્કા બનાવી નકલી પ્રમાણપત્રો બનાવતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી ઇલેક્ટ્રોનિક ઉપકરણો, દસ્તાવેજો અને સિક્કા સહિત કુલ રૂ. 1,05,850 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓના નામ અને સરનામા નીચે મુજબ છે: 1. કિશોરકુમાર કનૈયાલાલ પ્રજાપતિ (ઉંમર 32), રહે. 22-વિષ્ણુનગર સોસાયટી, બ્રહ્માણીનગર, મહેતાપુરા, હિંમતનગર. મૂળ રહે. કુશાલપુર, કુમ્હારો કા વાસ, તા. જી. પાલી (રાજસ્થાન). 2. ચંદ્રકેતુ ભરતભાઈ પ્રજાપતિ (ઉંમર 35), હાલ રહે. 40/એ, કૃષ્ણ પાર્ક સોસાયટી, બેરણા રોડ, મહાવીરનગર, હિંમતનગર. મૂળ રહે. ખેડ ચાંદરણી, તા. હિંમતનગર.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 8:31 pm

આંત્રોલી ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ:રૂ. 84,500નો મુદ્દામાલ જપ્ત, એક આરોપીની ધરપકડ

પાલનપુર તાલુકાના આંત્રોલી ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે. બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે કાર્યવાહી કરી કુલ ₹84,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિઓ ડામવા કડક અમલવારીની સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે, એલ.સી.બી. પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈએ દારૂ અને જુગારની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખવા અને કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. એલ.સી.બી. પોલીસ સ્ટાફ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન તેમને બાતમી મળી હતી. બાતમીના આધારે, પોલીસે આંત્રોલી ગામ, શિવમાળા સોસાયટી સામે રહેતા અશ્વિનસિંહ સિધ્ધરાજસિંહ ચૌહાણ (ઉં.વ. 22) ના ખેતરમાં આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, 45 લિટર દેશી દારૂ (કિંમત ₹9,000), 20 લિટર ગરમ વાંસ (કિંમત ₹500), અને 3000 લિટર વોશ (કિંમત ₹75,000) મળી આવ્યો હતો. આ ઉપરાંત, ચાલુ ભઠ્ઠીના સાધનો જેવા કે પાટીનું કપડું (2 નંગ), માટીના ચાડા (2 નંગ), તેમાં ફીટ કરેલી પ્લાસ્ટિકની પાઇપ (2 નંગ), એલ્યુમિનિયમના દેગડા (2 નંગ), પીપડા (2 નંગ), ભારત ગેસની બોટલ (1 નંગ) અને સગડા (2 નંગ) પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે કુલ ₹84,500નો મુદ્દામાલ જપ્ત કરી અશ્વિનસિંહ ચૌહાણ વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 8:27 pm

નવસારીમાં ભારે પવન ફૂંકાયો, ધૂળની ડમરીઓ ઉડી:વિઝિબિલિટી ઘટી, અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો

નવસારી જિલ્લામાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન ફૂંકાવાને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી, જેનાથી વિઝિબિલિટી ઘટી હતી. શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. આ વાતાવરણીય પલટાને કારણે કેરી, ચીકુ અને શાકભાજીના પાકને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સાંજના સમયે પવનની ગતિ અચાનક વધતા નવસારી શહેરના મુખ્ય માર્ગો પર ધૂળનું પ્રમાણ વધી ગયું હતું. પવન એટલો તેજ હતો કે દ્વિચક્રી વાહન ચાલકોને વાહન થોભાવી દેવાની ફરજ પડી હતી. પવનના જોરને કારણે વીજ લાઈનોમાં ટેકનિકલ ખામી સર્જાતા શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેનાથી નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેર ઉપરાંત સમગ્ર જિલ્લામાં પવનનું જોર વધુ હોવાથી કૃષિ ક્ષેત્રે નુકસાનની આશંકા છે. નવસારી જિલ્લો કેરી અને ચીકુના ઉત્પાદન માટે જાણીતો છે. આ તેજ પવનને કારણે આંબા પરથી કેરીઓ ખરી પડવાની અને ચીકુના પાકને નુકસાન થવાની ભીતિ છે. આ ઉપરાંત, ઉનાળુ શાકભાજીના પાકોને પણ માઠી અસર થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ફેરફાર થવાની આગાહી અગાઉથી જ કરવામાં આવી હતી. આ પલટો તે આગાહીનો જ એક ભાગ માનવામાં આવી રહ્યો છે. હાલમાં તંત્ર દ્વારા સાવચેતી રાખવા અને વીજ પુરવઠો વહેલી તકે પુનઃસ્થાપિત કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 8:25 pm

પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થતા પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી:30-40 કિમીની ઝડપે પવન ફૂંકાતા વાહનચાલકો પરેશાન, 20 જેટલા વૃક્ષ ધરાશાયી, મેટ્રો કોર્ટમાં અનેક બારીઓના કાચ તૂટ્યા

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. બે દિવસ સુધી અલગ અલગ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે ગઈકાલે મોડી રાતથી જ અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. શહેરમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા હતા. તેમજ ધૂળની ડમરીઓ ઉડતી હોવાથી વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં ભારે પવન ફૂંકાતા વાહનચાલકો પરેશાન થયામાર્ચ મહિનામાં જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાતાવરણ પલટો આવ્યો છે. પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ રહી હોવાથી લોકોને આકરા તાપમાંથી રાહત મળી છે. જો કે હવામાન વિભાગ દ્વારા આગામી કરવામાં આવી હતી કે છેલ્લા 24 કલાક ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડવાની સાથે સાથે વરસાદ પણ થઈ શકે છે. જેના પગલે ગઈકાલે મોડી રાતથી શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. તેમજ સવારથી શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. શહેરના અનેક વિસ્તારમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. દિવસભર ભારે પવનના કારણે 20 જેટલા વૃક્ષો ધરાશાયીભારે પવન ફૂંકાવાના કારણે શહેરમાં વહેલી સવારથી સાંજ સુધી 20 જેટલા વૃક્ષ ધરાશાયી થયા હતા. શહેરના શ્યામલ ક્રોસ રોડ, NID સર્કલ, સરખેજ સેટેલાઇટ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતા થોડા સમય માટે એક તરફનો રસ્તો પણ બંધ વાહન ચાલકોની અવરજવર માટે બંધ થઈ ગયો હતો. તો સરસપુરમાં ભારે પવન ફૂંકાતા રસ્તો પરથી જતી ગાડી પર એક વૃક્ષ ધરાશાયી થઈને પડ્યું હતું. જે બાદ સ્થાનિકો તરત જ દોડી આવી ગાડીમાંથી લોકોને બહાર કાઢ્યા હતા. જો કે સદનસીબે કોઈ પણ વ્યક્તિને જાનહાનિ થઈ નહતી, પરંતુ ગાડીને ભારે નુકસાન થયું છે. મેટ્રો કોર્ટની અનેક બારીઓના કાચ તૂટ્યાતો બીજી તરફ પૂર્વ અને પશ્ચિમના તમામ વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા અને ધૂળની ડમરીઓ ઉડતી હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમાં પણ ઓફીસથી અથવા નોકરીથી ઘરે પરત જઈ રહેલા લોકોને ધૂળની ડમરીઓ ઉડતી હોવાથી વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી. તો અમદાવાદ મેટ્રો કોર્ટની અનેક બારીઓના કાચ પણ ભારે પવન ફૂંકાતા તૂટી ગયા હતા. કોઈ વ્યક્તિ નીચે હાજર ન હોવાથી કોઈપણ જાનહાની થઈ નહતી. તેમજ અનેક શહેરમાં ઝરમર ઝરમર વરસાદી છાંટા પણ અનેક વિસ્તારમાં પડ્યા હતા. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 8:19 pm

સાઈ ગણેશ ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ:પ્રેમાનંદજી મહારાજના જન્મદિવસ નિમિત્તે 400 લિટર છાશનું વિતરણ કરાયું

શ્રી સાઈ ગણેશ ટ્રસ્ટ કર્ણાવતી દ્વારા ચૈત્ર નવરાત્રી, હિન્દુ નવ વર્ષ, ગુડી પડવા અને પ્રેમાનંદજી મહારાજના જન્મદિવસ નિમિત્તે છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત વાડજ પોલીસ ચોકી પાસે, વાડજ પોલીસ સ્ટેશન નજીક 400 લિટર છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકાર્યમાં ધવલભાઈ પટેલ, ધવલભાઈ ધૂળે, સમસ્ત સાઈ ગણેશ ટ્રસ્ટના સભ્યો અને હેત હેલ્પિંગ હેન્ડ્સ ચેરીટેબલ ટ્રસ્ટના માલિક પણ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 8:19 pm

72 વર્ષીય માતાને પરેશાન કરનારા પુત્ર-પુત્રવધૂને ઘર ખાલી કરવા આદેશ:અડાજણમાં રહેતા વૃદ્ધાએ પ્રાંતઅધિકારી સમક્ષ અરજી કરી હતી, ટ્રિબ્યુનલનો ચુકાદો

સુરતના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં રહેતા એક 72 વર્ષીય વૃદ્ધાને તેનો પુત્ર અને પુત્રવધૂ પરેશાન કરતા હોય વૃદ્ધાએ પ્રાંત અધિકારી સમક્ષ અરજી કરી હતી. જે મામલે ટ્રીબ્યુનલ સમક્ષ જતા ટ્રીબ્યુનલે પુત્રને 15 દિવસમાં ઘર ખાલી કરી દેવા અને વૃદ્ધ માતાને દર મહિનો ભરણપોષણ ચૂકવવા હુકમ કર્યો છે. આ નિર્ણયથી સમાજમાં વૃદ્ધોના અધિકારો પ્રત્યે એક મજબૂત સંદેશ વહેતો થયો છે અને અન્યાયી સંતાનો સામે લાલબત્તી ધરી છે. 72 વર્ષીય વૃદ્ધાએ પ્રાંત અધિકારી સમક્ષ અરજી કરી હતીશહેરના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં રહેતા વૃદ્ધાએ પોતાના જ પુત્ર અને પુત્રવધૂ વિરુદ્ધ સુરત પ્રાંત અધિકારી સમક્ષ અરજી કરી હતી. માતાનો ગંભીર આક્ષેપ હતો કે, જે ઘર તેમણે પોતાની જીવનભરની કઠોર મહેનત અને કમાણીથી ખરીદ્યું છે, તે જ ઘરમાં તેમને અત્યંત પારાવાર દુઃખ અને અપમાન સહન કરવું પડી રહ્યું છે. પુત્ર અને વહુ ઘર પચાવી પાડવાના નીચ ઈરાદે તેમને અવારનવાર ધમકાવતા હતા અને જમવા જેવી પાયાની જરૂરિયાતો બાબતે પણ માનસિક હેરાનગતિ કરીને જીવવું મુશ્કેલ કરી દીધું હતું. સિનિયર સિટીઝન એક્ટ હેઠળ તંત્ર દ્વારા કડક કાર્યવાહીમાતાની આ વેદનાસભર અરજીને ગંભીરતાથી લઈને કોર્ટે 'મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ-2007' ની કડક કલમો હેઠળ સુનાવણી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી કે વૃદ્ધાને તેમના જ આલિશાન ઘરમાં કેદી જેવી લાચાર હાલતમાં રાખવામાં આવતા હતા. ટ્રિબ્યુનલે કડક શબ્દોમાં અવલોકન કર્યું કે, દરેક સંતાનોની પ્રાથમિક જવાબદારી પોતાના અશક્ત માતા-પિતાની સેવા કરવાની છે, નહીં કે તેમને મિલકત માટે પ્રતાડિત કરી ઘરની બહાર કાઢવાની કે માનસિક રીતે તોડી નાખવાની હોય છે. 15 દિવસમાં ઘર ખાલી કરવા માટેનું આખરી અલ્ટીમેટમબંને પક્ષોની લાંબી દલીલો અને પુરાવાઓ તપાસ્યા બાદ, ટ્રિબ્યુનલે પુત્ર અને તેના પરિવારને આગામી 15 દિવસની નિર્ધારિત મર્યાદામાં ઘર ખાલી કરવાનો કડક આદેશ આપ્યો છે. જો નિયત સમયમાં સ્વેચ્છાએ ઘર ખાલી કરવામાં નહીં આવે, તો પોલીસ પ્રોટેક્શન સાથે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ગંભીર ચીમકી ઉચ્ચારી છે. આ સાથે જ કોર્ટે પુત્રને માતાના ભરણપોષણ અને દવાના ખર્ચ માટે દર મહિને નક્કી કરેલી રકમ ચૂકવવાનો પણ નિર્દેશ આપ્યો છે, જેથી વૃદ્ધા ગૌરવભેર પોતાનું જીવન પસાર કરી શકે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 8:06 pm

EDITOR'S VIEW: ન્યુક્લિયર નહીં આ છે તેલની ધારનું યુદ્ધ:પાક.ની મિસાઈલના નિશાને અમેરિકા? વોર લડવા ટ્રમ્પને NATOની ઘસીને 'ના', દુનિયામાં માતમ ને રશિયાને મલાઈ

દુનિયાને અને અમેરિકાને ઈરાનના ન્યુક્લિયર હથિયારોથી ખતરો છે અને તેને ખતમ કરી દેવા જોઈએના શંખનાદ સાથે અમેરિકાની મદદથી શરૂ થયેલું ઈઝરાયલ-ઈરાન યુદ્ધ હવે ન્યુક્લિયરનું નહીં પણ તેલનું યુદ્ધ બની ગયું છે. હવે વાત આપણા ખાલી થતા ખિસ્સા અને ગ્લોબલ એનર્જીના કંન્ટ્રોલ સુધી પહોંચી ગઈ છે. આ બધામાં સૌથી ઓછી ચર્ચા થઈ હોર્મુઝની ખાડીમાં આવેલા ઈરાનના કેશમ આઈલેન્ડની જેના અંડરગ્રાઉન્ડ બંકરે દુનિયાની ઈકોનોમીના ચીંથરા ઉડાવી દીધા છે. એવામાં ગઈકાલે ઈરાને બહેરિનની મસમોટી નેચરલ ગેસ રિફાઈનરીમાં ધડાકા કરીને ચૂરો બનાવી દીધો છે. જોકે અસલી ધડાકો તો વોશિંગ્ટનમાં થયો જ્યારે એક રિપોર્ટમાં સામે આવ્યું કે અમેરિકા જે ઈરાનના ન્યુક્લિયર શક્તિ વધારવાની વાત કરી રહ્યું હતું તેવું ખરેખર કંઈ હતું જ નહીં. તુલસી ગબાર્ડના સનસનીખેજ રિપોર્ટમાં મોટા ધડાકા થયા કે પાકિસ્તાન એવી મિસાઈલ્સ બનાવી રહ્યું છે જેની રડારમાં અમેરિકા પણ આવી જશે. જ્યારે આ બધું ચાલી જ રહ્યું હતું ત્યારે દુનિયામાં અર્થતંત્રની આંધી ચાલી રહી હતી અને રશિયા તેલ અને ગેસ વેચીને ખિસ્સા ભરી રહ્યું હતું. તેણે પાકિસ્તાનને પણ તેલ આપવાની વાત કહી છે. આ બધી વાતોને ધ્યાને લઈને આજે આપણે ઈઝરાયલ અને ઈરાન યુદ્ધની અપડેટ માહિતી મેળવીશું. નમસ્કાર... ઈઝરાયલ-ઈરાન યુદ્ધ માત્ર બે જ અઠવાડિયામાં ન્યુક્લિયરથી તેલ સુધી ફેલાઈ ગયું છે. ઈરાને બાંગ પોકારી છે કે અમારી ઉપર ઉની આંચ પણ આવશે તો પર્શિયન ગલ્ફમાંથી તેલનું એક ટીંપુ પણ દુનિયા સુધી નહીં પહોંચી શકે. બહેરિનમાં ધડાકો, દુનિયામાં ધ્રુજારી જ્યારે આ બધુ ચાલી જ રહ્યું હતું ત્યારે ઈરાનની પાર્સ ગેસ ફિલ્ડ પર હુમલા પછી ઈરાને મિડલ ઈસ્ટમાં ગેસ ફિલ્ડ પર હુમલાઓની ધમકી આપી હતી. જે હવે હકિકત બની ગઈ છે. ઈરાને બહેરિનની સૌથી મોટી નેચરલ ગેસ રિફાઈનરી પર હુમલો કરી દીધો છે. વાત જાણે એમ છે કે બહેરિન અને સાઉદી અરેબિયાની બોર્ડર પાસે આવેલી ગેસ ફેસેલિટી પર ઈરાને મિસાઈલ છોડીને મોટો ધડાકો કર્યો છે. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેની અસર બહેરિન અને સાઉદી અરેબિયાનો જોડનાર કિંગ ફલાદ પુલ સુધી પહોંચી અને તે ડેમેજ થયો છે. કતાર એનર્જીએ પોસ્ટ કરીને લખ્યું છે કે “એક મિસાઇલ વિશાળ રાસ લાફાન LNG સુવિધા પર ત્રાટકી, જેના કારણે આગ ફાટી નીકળી, બુઝાવતા પહેલા ભયાનક નુકસાન થયું છે.” આ હુમલા પર સાઉદી અરેબિયાના પ્રિન્સ ફૈઝલ ​​બિન ફરહાન અલ સઉદે કહ્યું છે કે, “સંઘર્ષમાં ન જોડાયેલા મારા દેશ અને મારા પાડોશી દેશો પર હુમલા થયા, હુમલા રોકવા અમે રાજકીય, આર્થિક, કુટનીતિક અથવા તમામ પ્રકારના પ્રયાસો કરીશું.” 32 મર્યાં અને ઈરાન બગડ્યું અગાઉ 9 માર્ચે ઈરાની ડ્રોન્સ અને મિસાઈલ્સે બહેરિનના સિત્રામાં આવેલી બાપ્કો એનર્જીશની રિફાઈનરીને નિશાન બનાવી હતી. હુમલામાં 32 નિર્દોષો માર્યા ગયા હતા અને અનેક ઘાયલ થયા હતા. બીટવિન ધ લાઈન આને સમજીએ તો હવે યુદ્ધ ન્યુક્લિયર નહીં પણ તેલ અને ગેસ પર આવીને અટકી ગયું છે. પણ સવાલ થાય કે હુમલા માટે ઈરાને બહેરિનને જ કેમ સિલેક્ટ કર્યું? તો તેના ત્રણ કારણો છે ઈરાનનો એટેકિંગ મોડ ઓન ઈરાનનો અમેરિકા ફિફ્થ ફ્લિટ પર હુમલો એટલે અમેરિકાના ઘરમાં ઘૂસીને તેમને લાફો મારવા સમાન છે. આ હુમલાએ સાબિત કરી દીધું છે કે ઈરાન ડિફેન્સિવથી ઓફિન્સિવ મોડમાં આવી ગયું છે. 12 માર્ચે મુહર્રક ફ્યૂઅલ ડેપો પર ઈરાને કરેલો હુમલો એ વાતનું પ્રુફ છે કે ઈરાન દુનિયાની તેલ અને ગેસ સિસ્ટમ ઠપ્પ કરાવીને અમેરિકા અને પશ્ચિમ દેશોને સીધો પડકાર ફેંકે છે કે બસ હવે બહુ થયું, યુદ્ધ બંધ કરો બાકી આખી દુનિયા સળગશે. એ આઈલેન્ડ જે યુદ્ધનો અભેદ્ય કિલ્લો પણ જ્યારે આ બધુ જ થઈ રહ્યું છે ત્યારે લોકોની નજર ઈરાનના નાનકડા ટાપુ પર નથી પહોંચી શકી. નામ છે કેશમ આઈલેન્ડ. એક સમયે જે ટાપુ ટુરિઝમનું હોટસ્પોટ હતું તે આજે દુનિયાના તેલ અને ગેસ સપ્લાયને રોકવા માટેનું ટ્રિગર બની ગયું છે. ગુજરાતથી અંદાજે 1700 કિલોમીટર દૂર આવેલી છે હોર્મુઝ સ્ટ્રેટ, જ્યાંથી દુનિયાનું 20-22 ટકા તેલ અને ગેસ પસાર થાય છે. અહીં ઈરાનનો અજેય કિલ્લો કેશમ આઈલેન્ડ આવેલો છે. અહીંથી પસાર થતા દરેક ઓઈલ ટેન્કર ઈરાનની મિસાઈલ રેન્જ અને નજર નીચે હોય છે. અહીં મીઠાની ગુફાઓમાં ઈરાને મિસાઈલ્સ અને સી માઈન્સ રાખી શકાય એવા વિશાળ મિલિટરી બેઝ તૈયાર કર્યા છે. મીઠાની ગુફાઓમાં ઈરાનનું મિસાઈલ્સ સેન્ટર? ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડે કેશમ આઈલેન્ડ નામના અભેદ્ય કિલ્લાનો બખૂબી ફાયદો ઉઠાવ્યો. રિપોર્ટ્સ મુજબ ટાપુની સેંકડો ફૂટ નીચે મિસાઈલ સિટી અને આર્મી કમાન્ડ સેન્ટર આવેલું છે. કેશમ દ્વીપઃ ન ડૂબે તેવું કુદરતી ઈરાની જહાજ કહેવાય છે કે કેશમ આઈલેન્ડનું અંડરગ્રાઉન્ડ ટનલ નેટવર્ક એટલું મજબૂત છે કે તે પરમાણુ હુમલા કે બોમ્બમારાને પણ સહન કરી શકે છે. અહીંથી ઈરાન જે એડવાન્સ્ડ ડ્રોન અને એન્ટી શિપ મિસાઈલ્સ લોન્ચ કરે છે તે સેટેલાઈટથી પણ પકડવું મુશ્કેલ છે. આ જ આઈલેન્ડની મદદથી ઈરાને દુનિયાની તેલ સપ્લાય કરનાર હોર્મુઝ સ્ટ્રેટને બ્લોક કરી દીધી છે. કેશમ આઈલેન્ડના લીધે હોર્મુઝ વિસ્તારથી કોઈ જહાજો નથી નિકળી શકતા અને દુનિયામાં તેલ અને ગેસની તંગી ઉભી થઈ ગઈ છે. અમેરિકા પાસે અનેક મહાકાય દરિયાઈ યુદ્ધ જહાજો છે પણ ઈરાન પાસે કેશમ આઈલેન્ડ નામનું એવું કુદરતી યુદ્ધ જહાજ છે જે ન ડૂબી શકે તેવું છે. પાણી પર પ્રહાર અને ઈરાનનો આક્રોશ અમેરિકા ઈરાન માટે કેશમ આઈલેન્ડની કિંમત જાણે છે. 7 માર્ચે તેણે કેશમ આઈલેન્ડના પાણી ચોખ્ખું કરતા પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. જેના કારણે ઈરાનના અંદાજે દોઢ લાખ લોકોને પીવાના પાણીના ફાંફાં પડી ગયા હતા. ઈરાને એટલા માટે જ અમેરિકાના વળતા જવાબમાં બહેરિન અને અમેરિકન ફિફ્થ ફ્લિટ પર હુમલો કર્યો હતો. તુલસી ગબાર્ડના રિપોર્ટમાં મોટો ધડાકો પણ જ્યારે આ બધુ જ ચાલી રહ્યું છે ત્યારે ઈરાનથી 10 હજાર કિલોમીટર દૂર વોશિંગ્ટન સિટીના કોરિડોરમાં એક ધડાકો થયો, જેણે ઈરાન સામે અમેરિકાએ શરૂ કરેલા યુદ્ધના પાયા હલાવી દીધા. અમેરિકાના DNI એટલે કે ડિરેક્ટર ઑફ નેશનલ ઈન્ટેલિજન્સ તુલસી ગબાર્ડે સેનેટ ઈન્ટેલિજન્સ સામે જુબાની રિપોર્ટ રજૂ કર્યો. જેણે સાબિત કરી દીધું કે ટ્રમ્પે ખોટી રીતે ન્યુક્લિયર પાવર વધારવાની વાતો કરીને ઈરાન પર હુમલો કરી દીધો. ન્યુક્લિયર બહાનુ, નિશાન તેલ-ગેસ? આખી વાત એમ છે કે 28 ફેબ્રુઆરીએ જ્યારે ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ શરૂ થયું ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન ખાલી બે જ અઠવાડિયામાં પરમાણુ બોમ્બ બનાવી લેશે. પણ તુલસી ગબાર્ડના લેખિત રિપોર્ટમાં ખુલાસો થયો છે કે જૂન 2025માં જ્યારે ઈરાન સામે ઓપરેશન મિડનાઈટ હેમર ચાલ્યું હતું ત્યારે જ ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામના ફુરચા બોલી ગયા હતા. અધૂરામાં પૂરું તેના પછી ઈરાને ક્યારેય ન્યુક્લિયર પ્રોગ્રામ ફરી શરૂ કરવાની કોશીશ નથી કરી. ટ્રમ્પ નીતિ સામે અધિકારી ગિન્નાયા આ વાતથી બિટવિન ધ લાઈન એવું સમજી શકાય કે 2026નું યુદ્ધ ઈરાનના ન્યુક્લિયર પ્રોજેક્ટને રોકવા નહીં પણ ઈરાનની સત્તા પલટાવવા, ઈરાનની સૈન્ય તાકાત તોડવા અને ગલ્ફ દેશોમાં અમેરિકાનો દબદબો વધારવા શરૂ થયું હતું. જેનો જીવતો જાગતો પુરાવો 17 માર્ચે મળ્યો જ્યારે નેશનલ કાઉન્ટર ટેરિરિઝમ સેન્ટરના ડિરેક્ટર જો કેન્ટે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. જો અમેરિકન નેશનલ કાઉન્ટર ટેરિરિઝમ સેન્ટરના પૂર્વ ડિરેક્ટર જો કેન્ટે રાજીનામું આપતા સમયે લખ્યું કે, ઈરાન તરફથી અમેરિકા પર કોઈ તાત્કાલિક ખતરો ન હતો. આ યુદ્ધ માત્ર વિદેશી હિતો અને લોબિંગના દબાણ માટે જ શરૂ કરવામાં આવ્યું છે. ઈરાન પછી હવે પાકિસ્તાનનો વારો? પણ ગબાર્ડનો રિપોર્ટ અહીં જ નથી અટકતો. તેમણે ચેતવણી આપી છે કે પાકિસ્તાન હવે એવી ICBM મિસાઈલ્સ બનાવી રહ્યું છે જે સીધી અમેરિકા સુધી પહોંચી શકે છે. પાકિસ્તાની મિસાઈલનો અમેરિકાન ઘેરો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2035 સુધીમાં ચીન, ઉત્તર કોરિયા અને પાકિસ્તાન પાસે લગભગ 16 હજારથી વધુ મિસાઈલ્સ હશે. જે 2026ના 3 હજારના આંકડા કરતા પાંચ ગણાથી વધુ હશે. આપણી એટલે કે ભારતની વાત કરીએ તો પાકિસ્તાનનો આ પરમાણુ પ્રોજેક્ટ ભારત અને દુનિયા બંને માટે ખતરો બની શકે છે. તમને યાદ હોય તો એટલા માટે જ આપણે અગાઉ એક એડિટર્સ વ્યૂમાં વાત કરી હતી કે ઈરાનને બરબાદ કર્યા બાદ હવે અમેરિકાનો નેક્સ્ટ ટાર્ગેટ પાકિસ્તાન હોય શકે છે. આજની તારીખે જ્યારે મિડલ ઈસ્ટના રણમાં અમેરિકા-ઈઝરાયલની મિસાઈલ્સ અને ઈરાનના ડ્રોન્સ વચ્ચે તાંડવ થઈ રહ્યું છે ત્યારે હજારો કિલોમીટર દૂર રશિયાના ક્રેમલિનમાં એક અલગ જ પ્રકારની દિવાળી ઉજવાઈ રહી છે. દુનિયામાં માતમ ને મહાશક્તિને મલાઈ ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ ખાડી દેશોમાં રાજકીય કે સૈન્ય ભૂકંપ આવે છે ત્યારે અમેરિકા, ચીન અને રશિયાની તિજોરીઓ છલકાય છે. દુનિયા જ્યારે એનર્જી ક્રાઈસિસ સામે લથડિયા મારી રહ્યું છે ત્યારે રશિયાને સૌથી વધુ આર્થિક લાભ થઈ રહ્યો છે. ભારતની પીઠમાં રશિયન છૂરો? ઈરાને હોર્મુઝ ખાડી પર કબજો જમાવતા ગ્લોબલ ઓઈલ સપ્લાયનું ગળું રુંધાઈ ગયું છે. 60 ડોલર પ્રતિ બેરલે વેચાતું બ્રેન્ટ ક્રુડ ઓઈલ 120થી 140 ડોલર પ્રતિ બેરલ વચ્ચે હિંચકા ખાઈ રહ્યું છે. અને આનો જ ફાયદો રશિયાને થઈ રહ્યો છે. રશિયાએ તેના યુરલ્સ ક્રુડને અમુક દેશોને મોંઘા ભાવે વેચવાનું શરુ કરી દીધું છે. ઈરાનમાં યુદ્ધનો ધુમાડો, રશિયા માલામાલ ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી અને સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લિન એરના ડેટા મુજબ ઈઝરાયલ-ઈરાન યુદ્ધ પહેલા રશિયા રોજ 4.21 મિલિયન બેરલ ક્રુડ ઓઈલ વેચીને 535 મિલિયન ડોલરનો નફો કમાતું હતું. યુદ્ધ બાદ રશિયા આજે ચાર ગણા વધુ 4.8થી 5 મિલિયન બેરલ ક્રુડ ઓઈલ વેચીને 600થી 730 મિલિયન ડોલરની કમાણી કરી રહ્યું છે. રશિયન ક્રુડ ઓઈલ વેચાણના વોલ્યુમમાં 15-20 ટકા, રેવેન્યુમાં 14 ટકા અને રોજ કમાણીમાં 150 મિલિયન ડોલરનો વધારો થયો છે. રશિયાનો ભારતને સાયલેન્ટ ડિપ્લોમેટિક મેસેજ આ એ જ રશિયા છે જેની પાસેથી દુનિયાભરના દેશો પર ક્રુડ ઓલી અમેરિકાએ પ્રતિબંધો લગાવીને દબાણો ઊભા કર્યા હતા. પણ એ જ અમેરિકા ભારત સહિત અનેક દેશોને રશિયા પાસેથી થોડા સમય માટે ક્રુડ ઓઈલ અને ગેસ ખરીદવા માટે પરમિશન આપી રહ્યું છે. હોર્મુઝ બંધ થતાં ગ્લોબલ સપ્લાય ચેઈન અટવાઈ પણ એક્સપર્ટ્સ બિટવિન ધ લાઈન્સ એવા વિશ્લેષણો કરી રહ્યા છે કે રશિયાએ ભારતના પીઠ પીછળ છૂરો ભોંક્યો છે. કારણ કંઈક એવું છે કે, 17 માર્ચ 2026ના રોજ રશિયન રાજદૂત આલ્બર્ટ ખોરેવે એક જાહારેત કરી હતી જેણે ભારતીય વિદેશ મંત્રાલય અને એમ્બેસિઝમાં હલચલ મચાવી દીધી હતી. કારણ કે રશિયાએ પાકિસ્તાનને ડિસ્કાઉન્ટ આપીને ઓછા ભાવે તેલ આપવાની વાત કરી હતી. ધ્યાનથી સાંભળજો રશિયા આપણું જૂનું દોસ્ત રાષ્ટ્ર છે પણ તેણે ભારતને તેલ આપવામાં કોઈ ડિસ્કાઉન્ટ નથી આપ્યું. આને એવી રીતે જોવામાં આવી રહ્યું છે કે ભારત અમેરિકાથી વધુ નજીક જવાનું બંધ કરે, બાકી રશિયાથી દૂરી બનતી જશે અને મદદ પણ રોકાશે. આ સસ્તા રશિયન તેલથી પાકિસ્તાનને મોટો ફાયદો થશે. આનાથી એવું કહી શકાય કે રશિયા માત્ર ભારત પર ફોકસ કરવાની જગ્યાએ પૂરા એશિયા પર પોતાનો પ્રભાવ જમાવવા ઈચ્છી રહ્યું છે. નાટોની કિટ્ટા, ટ્રમ્પ એકલા પડ્યા ઈરાને જ્યારે હોર્મુઝની ખાડીને મિલિટરી કંટ્રોલ હેઠળ લઈને તેલનો ટ્રાફિક અટકાવી દીધો, ત્યારે વિશ્વમાં તેલ અને ગેસની કિલ્લત કટોકટી ઉભી થઈ. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ હોર્મુઝનો જળમાર્ગ ખોલાવવા માટે વેસ્ટર્ન મિલિટરી ઓર્ગેનાઈઝેશન NATO સહિત અનેક દેશો પર દબાણ કર્યું, પણે ટ્રમ્પ ભોંઠા પડ્યા. તેમને એવું હતું કે બધા સાથ આપશે પણ નાટો તો ઠીક કોઈ દેશ ટ્રમ્પ સાથે આ વાત પર ઊભું ન રહ્યું. આવું થતા ટ્રમ્પનો પિત્તો ગયો અને ધમકી આપી કે નાટોનું ફ્યુચર ખૂબ જ ખરાબ હશે. પણ તો'ય જર્મની, બ્રિટન, ફ્રાન્સ કે ઓસ્ટ્રેલિયા જેવા નાટો દેશોએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બ્લોકેજ ખોલાવવા પોતાના જહાજો મોકલવાની ટ્રમ્પને ઘસીને ચોખ્ખી ના પાડી દીધી. નાટોની ટ્રમ્પને યુદ્ધમાં જોડાવા ઘસીને ‘ના’ નાટો સહિત બીજા દેશોએ ટ્રમ્પની મદદ એટલા માટે ન કરી કારણ કે ઈરાન સામેનું યુદ્ધ અમેરિકા અને ઈઝરાયલનું છે. જો કોઈ દેશ હોર્મુઝ સ્ટ્રેટમાં પોતાનું જહાજ મોકલે તો તે આ યુદ્ધમાં સીધી રીતે જોડાય જાય. આપણે સૌ જાણીએ છીએ કે યુદ્ધ જાનહાની અને મહામંદી લાવે છે જે કોઈ દેશ પોતાના નાગરિકો માટે ક્યારેય ન ઈચ્છે. માટે કોઈએ ટ્રમ્પનો સાથ ન આપ્યો અને જગત જમાદાર એકલા પડી ગયા. અને છેલ્લે... જ્યારે અમેરિકા ઈરાન પર ડ્રોન અને મિસાઈલ્સનો મારો ચલાવી રહ્યું છે ત્યારે વોશિંગ્ટનમાં અમેરિકન સેનાના એક મહત્વપૂર્ણ બેઝ ફોર્ટ લેસ્લી મેકનેયર ઉપર શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આ એ જ બેઝ છે જ્યાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને રક્ષા મંત્રી પીટ હેગસેથ રહી રહ્યા છે. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ટ્રમ્પ ગવર્નમેન્ટના ઘણા સિનિયર અધિકારીઓ પોતાના ઘરમાં નહીં પણ સૈન્ય ઠેકાણાઓમાં રહી રહ્યા છે. બંને મોટા અધિકારીઓ મામલે મોટી વાત એ છે કે હજુ સુધી તેમને બીજી જગ્યા પર શિફ્ટ નથી કરાયા અને તે હજુ પણ ત્યાં જ રહે છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 7:55 pm

મહીસાગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો:હવામાન વિભાગની આગાહી બાદ બાલાસિનોર પંથકમાં વરસાદ

મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે સાંજે કમોસમી વરસાદ શરૂ થયો છે. જિલ્લાના બાલાસિનોર પંથકમાં સાંજના સમયે વરસાદનું આગમન થયું હતું. રાજ્યના હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. આ આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાયા બાદ કમોસમી વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, ત્યારે મહીસાગર જિલ્લામાં પણ તેની અસર જોવા મળી છે. આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. ખેતરોમાં ઘઉં, ચણા, ઘાસચારો અને બાગાયતી પાકો તૈયાર છે. આવા સમયે વરસાદ વરસવાથી પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે, જેના કારણે જગતના તાતની મુશ્કેલીઓ વધી છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 7:51 pm

વેરાવળ બંદર રોડ પર SOGની કાર્યવાહી:ગેરકાયદેસર મચ્છી પરિવહન કરતા 4 છકડા રીક્ષા ચાલકોને ઝડપી પાડ્યા

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર રોડ પર ગેરકાયદેસર મચ્છી પરિવહન કરતા છકડા રીક્ષા ચાલકો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. SOGએ આ ડ્રાઇવ દરમિયાન ચાર છકડા રીક્ષા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બંદર રોડ અને સોમનાથ રોડ પર મચ્છી ભરેલા વાહનોમાંથી પાણી અને કચરો રસ્તા પર ઢોળાતો હતો. આના કારણે માર્ગ ચીકણો બની જતો હતો, જેના પરિણામે દૈનિક ધોરણે નાના-મોટા અકસ્માતો સર્જાતા હતા અને રાહદારીઓ ઇજાગ્રસ્ત થતા હતા. આ સમસ્યા સ્થાનિક નાગરિકો માટે ચિંતાનો વિષય બની હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ SOG ટીમે વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. SOG પી.આઈ. ડી.એમ. કાગડા અને પી.એસ.આઈ. રીનાબેન સુવા સહિતના પોલીસ સ્ટાફે બંદર રોડ પર આકસ્મિક ચેકિંગ કરીને ગેરકાયદેસર પરિવહન કરતા છકડા રીક્ષા ચાલકોને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન સુત્રાપાડા પ્રાચી વિસ્તારના સાગર નારણ રાજગોર, વેરાવળ ભીડીયા વિસ્તારના પ્રવીણ છગનભાઈ દરી, ગોવિંદપરા ગામના તોસિફ અબ્દુલ મુગલ અને ખારવાવાડ વિસ્તારના શૈલેષ ઈશ્વર પરમારને તેમની રીક્ષા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ તમામ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તંત્રના આ કડક પગલાંને કારણે ગેરકાયદેસર પરિવહન કરતા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે. બીજી તરફ, લાંબા સમયથી આ સમસ્યાથી પીડાતા સ્થાનિક નાગરિકોમાં રાહતની લાગણી પ્રસરી છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. આવી ડ્રાઇવો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 7:44 pm

ડિમોલિશન બાદ ફરી ગેરકાયદે બાંધકામ !:રાજકોટનાં જંગલેશ્વરમાં ફરી બાંધકામો શરૂ, જેઓના મકાનો ડિમોલિશનમાં વધુ તૂટી ગયા છે તેઓ સમારકામ કરતા હોવાનો બચાવ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ઇતિહાસનું સૌથી મોટું ડિમોલીશન ઓપરેશન હાથ ધરી 1400થી વધુ કાચા-પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. આ કામગીરીને એક મહિનો પૂર્ણ થવા આવ્યો છે ત્યારે આ વિસ્તારમાં ફરી ગેરકાયદે બાંધકામો શરૂ થયા હોવાની ફરિયાદો ઉઠતા તંત્ર હરકતમાં આવ્યું છે. સોરઠીયા વે-બ્રીજથી કેદારનાથ સોસાયટી સુધીના 15 મીટરના નવા ડીપી રોડ માટે જગ્યા ખાલી કરાવવામાં આવી હતી, પરંતુ હજુ રોડનું કામ શરૂ નહીં થતા અમુક લોકોએ ફરી બાંધકામ શરૂ કર્યાનું સામે આવ્યું છે. તંત્ર અને સ્થાનિકોએ જણાવ્યા મુજબ જે આસામીઓના મકાનો અંશતઃ કપાયા હતા તેઓ પોતાની માલિકીની જગ્યામાં સમારકામ કરી રહ્યા છે. છતાં તંત્ર દ્વારા નદીનાં પટ્ટ સહિતના વિસ્તારોમાં ખરાઇ કરવામાં આવી રહી છે. બીજી તરફ, આ જ વિસ્તારની 1.05 લાખ ચો.મીટર સરકારી જમીન ઉપરના 1358 મકાનોના ડિમોલીશનનો અન્ય મામલો ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલમાં પેન્ડિંગ છે. હાઇકોર્ટના આદેશ મુજબ 90 દિવસમાં સુનાવણી પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે ટ્રીબ્યુનલ ગમે ત્યારે પોતાનો ફેંસલો જાહેર કરશે. આ ચુકાદા પર અનેક પરિવારોની મીટ મંડાયેલી છે. ત્યારે કલેક્ટર તંત્ર માનવીય અભિગમ અપનાવશે કે તેમના દ્વારા ડિમોલીશનના આદેશ અપાય છે તે જોવું રહ્યું. રાજકોટ - જાફરાબાદ રૂટની નવી ગુર્જરનગરી બસને MLA ટીલાળાએ લીલીઝંડી આપી રાજકોટ એસટી વિભાગ દ્વારા આજથી રાજકોટ-જાફરાબાદ રૂટની નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ સર્વિસનું લોકાર્પણ આજે 19 માર્ચના સવારે ધારાસભ્ય રમેશ ટીલાળાનાં હસ્તે બસ પોર્ટ ખાતે કરવામાં આવેલ હતું.આ અંગે વધુ વિગતો આપતા રાજકોટ એસટી વિભાગનાં ડેપો મેનેજર (વોલ્વો) ઠુંમરે જણાવ્યુ હતુ કે, ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ દ્વારા આજે તા.19/3 ગુરૂવારના રોજ રાજકોટ- જાફરાબાદ રૂટ પર નવીન ગુર્જરીનગરી સર્વીસ શરૂ કરવામાં આવી છે. બસ વાયા સરધાર, આટકોટ, બાબરા, ચીતલ, અમરેલી, સાવરકુંડલા, રાજુલા થઈ ચાલશે. જેનું ભાડુ રૂ. 205 રહેશે. રાજકોટથી આ બસ સવારે 5 કલાકે ઉપડશે અને જાફરાબાદથી બપોરે 2.30 કલાકે ઉપડશે. રાજકોટની ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટનું હવે નવીનીકરણ નહીં, રૂ. 8 કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કરાશે રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર આવેલી ઐતિહાસિક અને હેરીટેજ મિલ્કત સમાન સર લાખાજીરાજ શાક માર્કેટના નવનિર્માણની યોજનામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ મહાનગરપાલિકા દ્વારા સંપૂર્ણ માર્કેટના નવીનીકરણની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે સુરક્ષા અને વેપારીઓના હિતને ધ્યાને રાખીને માત્ર જરૂરી રિપેરિંગ અને જીર્ણોદ્ધાર કરવાનો નિર્ણય લેવાયો છે. 2025-26 ના બજેટમાં આ માર્કેટમાં નવી ફૂટ માર્કેટ અને હોકર્સ ઝોન બનાવવા માટે રૂ. 5.63 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. સ્થાનિક થડાધારકોએ પોતાની મૂળ જગ્યા ગુમાવવાના ડરથી આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. કન્સલ્ટન્ટના રિપોર્ટ મુજબ માર્કેટનું સ્ટ્રક્ચર મજબૂત હોવાથી હવે સંપૂર્ણ તોડી પાડવાને બદલે જર્જરિત ભાગોના સમારકામ પર ભાર મૂકવામાં આવશે. આ જીર્ણોદ્ધાર પાછળ અંદાજે રૂ. 8 કરોડનો ખર્ચ થશે, જેના માટે મનપાની બાંધકામ શાખા ટૂંક સમયમાં ટેન્ડર પ્રસિદ્ધ કરશે. હાલ સુરક્ષાના કારણોસર કેટલાક જોખમી થડા ખાલી કરાવીને સીલ મારવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રૂડાનગર-3માં વર્ષીથી પાણીની પારાયણ, રહેવાસીઓ દ્વારા ચૂંટણીનાં બહિષ્કારની ચીમકી રાજકોટના કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ આવેલી રૂડાનગર-3 સોસાયટીના રહેવાસીઓ છેલ્લા 7 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનના નળ કનેક્શન માટે વલખાં મારી રહ્યા છે. વર્ષ 2019માં રાજકોટ મહાનગરપાલિકામાં સમાવેશ થયો હોવા છતાં અને તમામ વેરા નિયમિત ભરતા હોવા છતાં અહીં હજુ સુધી પીવાના પાણીની લાઈન નંખાઈ નથી. ઉનાળાની આકરી ગરમીમાં પાણીની વિકટ સમસ્યા સર્જાતા પ્લોટ હોલ્ડર્સ એસોસીએશન દ્વારા મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોનો આરોપ છે કે વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. પાણી ઉપરાંત રસ્તા, ગટર અને કચરાના નિકાલ જેવી પાયાની સુવિધાઓનાં અભાવથી કંટાળેલા લતાવાસીઓએ હવે આરપારની લડાઈના મંડાણ કર્યા છે. એસોસીએશનના પ્રમુખ દાદુભાઈ બોરીચા અને અન્ય હોદ્દેદારોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે. આ સાથે જ રહેવાસીઓએ રસ્તા રોકો આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવી છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 7:42 pm

ભરૂચમાં રમઝાન ઈદ, રામનવમી પહેલા પોલીસની ફ્લેગ માર્ચ:જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા આયોજન

ભરૂચ જિલ્લામાં આગામી રમઝાન ઈદ અને રામનવમીના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે હેતુથી જિલ્લા પોલીસે ફ્લેગ માર્ચનું આયોજન કર્યું હતું. આ માર્ચમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા પોલીસ વિભાગના એએસપી અજય મીણાની હાજરીમાં આ ફ્લેગ માર્ચ શહેરની બાદશાહી મસ્જિદથી શરૂ થઈ હતી. તે ચાર રસ્તા, લાલ બજાર, કોઠી, એડ્રશ રોડ અને સોનેરી મહેલ જેવા વિસ્તારોમાંથી પસાર થઈ એ ડિવિઝન પોલીસ મથકે પૂર્ણ થઈ હતી. આ ફ્લેગ માર્ચમાં એસઓજી, એલસીબી અને જિલ્લા ટ્રાફિક શાખા સહિતના પીઆઈ, પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. પોલીસે તહેવારો દરમિયાન શાંતિ અને સલામતી જાળવવા માટે પોતાની સજ્જતા દર્શાવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 7:28 pm

ઝીલીયામાં હુમલાના બનાવ બાદ ઉશ્કેરણીજનક પોસ્ટ:4 સોશિયલ મીડિયા એકાઉન્ટ ધારકો સામે ગુનો દાખલ, બન્ને પક્ષોએ આક્રમક લખાણ સાથેની રીલ્સ વાયરલ કરી હતી

પાટણ સાયબર ક્રાઇમ પોલીસે સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ કરનારા 4 એકાઉન્ટ ધારકો સામે ગુનો દાખલ કર્યો છે. બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ અને પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયીની સૂચનાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝીલીયા ગામે થયેલા હુમલા બાદ બંને પક્ષો દ્વારા આક્રમક લખાણ અને ભડકાઉ સંગીત સાથેની રીલ્સ વાયરલ કરવામાં આવી હતી, જેના પગલે પોલીસે તપાસ તેજ કરી છે. આ ઘટનાનો મૂળ 15 માર્ચ, 2026 ના રોજ રાત્રિના સમયે ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામે બનેલી ઘટનામાં છે. ભાવેશ બળદેવ દેસાઇના ફાર્મહાઉસ પર આશરે 15 થી 20 ગાડીઓમાં આવેલા શખસોએ હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ ટોળાએ પોલીસ, સરકારી વાહન અને ફાર્મહાઉસને નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની વિવિધ કલમો હેઠળ ગુના દાખલ કરી આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. ઝીલીયા ગામના આ હુમલા બાદ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર બંને પક્ષના સમર્થકો દ્વારા એકબીજા પ્રત્યે ધિક્કાર અને દ્વેષની લાગણી ફેલાવતી પોસ્ટ અને રીલ્સ વાયરલ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે સોશિયલ મીડિયા મોનિટરિંગ દરમિયાન આ ભડકાઉ પોસ્ટ્સ શોધી કાઢી હતી. જ્ઞાતિઓ વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપતા 4 સોશિયલ મીડિયા એકાઉન્ટ ધારકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 196 અને 353 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં એલસીબી પીઆઈ આર.જી. ઉનાગર, સાયબર ક્રાઇમ પીઆઈ એચ.ડી. મકવાણા અને તેમની ટીમ સામેલ હતી. સાયબર પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, સોશિયલ મીડિયા પર સતત નજર રાખવામાં આવી રહી છે. કોઈપણ વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર, ભડકાઉ કે અફવા ફેલાવતી પોસ્ટ કરવામાં આવશે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 7:17 pm

મોરબીમાં ઘાસના જથ્થામાં આગ લાગી:ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો, જાનહાનિ ટળી

મોરબી નજીક મહેન્દ્રનગર ગામ પાસે આવેલી ઉમા વિલેજ સોસાયટી નજીક ઘાસના જથ્થામાં સાંજના સમયે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં મોરબી મહાપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. મહેન્દ્રનગર ગામથી હળવદ તરફ જતા રસ્તા પર આ ઘાસનો જથ્થો રાખવામાં આવ્યો હતો. આગ લાગી તે સમયે ભારે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને ઘાસનો મોટાભાગનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. બાજુમાં સોસાયટી વિસ્તાર હોવાથી સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ચાલુ વીજ લાઇન તૂટીને ઘાસના જથ્થા પર પડવાને કારણે આગ લાગી હોવાની આશંકા છે. સદનસીબે, આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડની સમયસર કાર્યવાહીથી વધુ નુકસાન અટકાવી શકાયું હતું, જોકે ઘાસનો જથ્થો સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 7:11 pm

ભિક્ષુકગૃહ પાસે MD ડ્રગ્સ સાથે શશાંક પટેલ ઝડપાયો:23 વર્ષની ઉંમરે હત્યા, મારામારી અને પ્રોહિબિશનનો ગુનાહિત ઇતિહાસ ધરાવતો ડ્રગ્સ પેડલર

સુરતના અડાજણ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને એક્ટિવા પર જઈ રહેલા 23 વર્ષીય શશાંક પટેલને મેફેડ્રોન ડ્રગ્સ (MD) સાથે દબોચી લીધો છે. પકડાયેલા આરોપી શશાંક માત્ર 23 વર્ષની ઉંમરે હત્યા, મારામારી અને પ્રોહિબિશન જેવા ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. બાતમીના આધારે અડાજણ હેલ્થ સેન્ટર પાસે રેડઅડાજણ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે શાંતિકુંજ ગાર્ડન પાસે એક શખસ એક્ટિવા પર ડ્રગ્સનું વેચાણ કરવા માટે પસાર થવાનો છે. આ બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે કોર્ડન ગોઠવ્યું હતું. ત્યારે GJ-05-HW-0549 નંબરના એક્ટિવા સાથે પસાર થઈ રહેલા શશાંક પટેલને પોલીસે અટકાવ્યો હતો. તેની અંગઝડતી લેતા તેની પાસેથી 2.45 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. 23 વર્ષનો આરોપી શશાંક હત્યા અને હુમલાનો ગુનેગારપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા આરોપી શશાંક ચંદ્રવદન પટેલ (રહે. રામનગર, રાંદેર) રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ રાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યા (IPC 302) નો ગુનો નોંધાઈ ચુક્યો છે. આ ઉપરાંત અડાજણ અને પાલ પોલીસ સ્ટેશનમાં મારામારી તથા જી.પી. એક્ટ હેઠળના ગુનાઓ દાખલ થયેલા છે. તે સુરત ગ્રામ્યના કડોદરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ પણ હતો. ડ્રગ્સ સપ્લાય કરનારા અન્ય બે વોન્ટેડ જાહેરપોલીસની પ્રાથમિક પૂછપરછમાં અન્ય બે નામો પણ સામે આવ્યા છે. શશાંક પટેલને ડ્રગ્સ પૂરું પાડનાર અથવા આ નેટવર્કમાં સામેલ પ્રતીક ડાભી અને અમરોલી કોસાડ આવાસમાં રહેતા દાનેશ નામના શખસોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ હવે આ બંને શખસોના મૂળ રહેઠાણ અને તેમના નેટવર્ક સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. કુલ 54,450નો મુદ્દામાલ જપ્ત કરાયોઅડાજણ પોલીસે આ કાર્યવાહીમાં આરોપી પાસેથી ડ્રગ્સ સહિત અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરી છે. જેમાં મેફેડ્રોન ડ્રગ્સ (2.45 ગ્રામ)-કિંમત 7,450, એક્ટિવા મોપેડ- કિંમત 40,000, મોબાઈલ ફોન-કિંમત 7,000 મળી પોલીસે કુલ 54,450 નો મુદ્દામાલ કબજે કરી NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ડ્રગ્સ નેટવર્ક તોડવા પોલીસ એક્શનમાંશહેરના યુવાધનને નશાના રવાડે ચઢાવતા તત્વો સામે સુરત પોલીસ કડક વલણ અપનાવી રહી છે. ધોરણ 10 સુધી ભણેલો શશાંક પટેલ નાની ઉંમરે ગુનાખોરીની દુનિયામાં કેવી રીતે પ્રવેશ્યો અને તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 7:08 pm

બેરોજગાર યુવાનોમાં 67 ટકા ગ્રેજ્યુએટ હોવાનો કોંગ્રેસનો દાવો:વર્ષે 2 કરોડ રોજગારી આપવામાં સરકાર નિષ્ફળ હોવાનો આક્ષેપ, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિગ પ્રથા નાબૂદ કરવા માગ

રાજ્ય સહિત દેશમાં બેરોજગારીની સ્થિતિને લઈને કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. ચૂંટણી સમયે સરકારમાં આવવા બે કરોડ રોજગારી આપવાની ભાજપે જાહેરાત કરી હતી પરંતુ તે આપવામાં નિષ્ફળ ગઈ હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. અઝીમ પ્રેમજી યુનિવર્સિટીનો રિપોર્ટ પણ કોંગ્રેસે જાહેર કર્યો છે. ખાલી પડેલી સરકારી જગ્યાઓ પર વિવિધ પદો પર ભરતી જાહેર કરી યુવાઓને રોજગાર આપવામાં આવે તેવી કોંગ્રેસે સરકાર પાસે માંગ કરી છે. 67 ટકા ગ્રેજ્યુએટ બેરોજગાર રહેતા હોવાનો કોંગ્રેસનો દાવોઅઝીમ પ્રેમજી યુનિવર્સિટીનો રિપોર્ટ જાહેર કરી કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, 2004થી 2023 દરમિયાન દર વર્ષે 50 લાખ જેટલા નવા ગ્રેજ્યુએટ થાય છે. જેની સામે રોજગાર 28 લાખ જેટલા લોકોને જ મળે છે અને 17 લાખ લોકોને પગારદાર નોકરી મળતી નથી. 67 ટકા જેટલા ગ્રેજ્યુએટને યોગ્ય નોકરી ન મળતી હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં બેરોજગાર યુવાનોમાં 67 ટકા ગેજ્યુએટ, 19થી 25 વર્ષના સ્નાતક શિક્ષિત બેરોજગારની સંખ્યા 39.33 ટકા, 25થી 29 વર્ષના સ્નાતક શિક્ષિત બેરોજગારની સંખ્યા 20 ટકા હોવાનું સામે આવ્યું છે. તેમજ લાંબા સમય સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થતા યુવાનોની આશા તૂટી જાય છે. જેથી કોંગ્રેસે માંગ કરી છે કે, ગુજરાતમાં કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવામાં આવે અને વસ્તીના પ્રમાણમાં મહેકમમાં વધારો કરી ગુજરાતના યુવાનોને રોજગારી આપવામાં આવે તેવી કોંગ્રેસે સરકાર પાસે માંગ કરી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લા 20 વર્ષમાં જે સ્નાતક બહાર પાડે છે તેની રોજગારીની તકોનો અહેવાલ અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આ અહેવાલમાં 67 ટકા ગ્રેજ્યુએટને નોકરી મળતી નથી. શિક્ષણ તો મેળવે છે પરંતુ શિક્ષણના આધારે જે નોકરી મળવી જોઈએ તે તકથી વંચિત રહી જાય છે. 2017 પછી સતત નોકરીની તક ઘટી રહી છે. ચૂંટણી સમયે મોદી સરકારે સપ્તાહમાં આવવા માટે દર વર્ષે બે કરોડ રોજગારી આપવાનું વચન આપ્યું હતું. છેલ્લા 11 વર્ષમાં 22 કરોડ રોજગાર મળવા જોઈએ તેના બદલે લોકોના રોજગાર છીનવાઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટ પ્રથામાંથી ગુજરાતના યુવાનોને મુક્ત કરો- મનીષ દોશીવધુમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં યુવાનોનું આર્થિક શોષણ થઇ રહ્યું છે. બે લાખ કરતા વધુ જગ્યાઓ ઘણા લાંબા સમયથી ખાલી પડી છે. તેમજ કોન્ટ્રાક્ટના નામે શોષણ થઇ રહ્યું છે. ગુજરાતમાં 2.70 લાખ જેટલા બેરોજગાર શિક્ષિત લોકો નોંધાયા છે. LRD સહિતની ભરતીમાં 21 લાખ સુધી અરજી નોંધાય છે. એટલે કે ગુજરાતમાં 25 લાખ લોકો બેરોજગાર હોવાનો આંકડો ચિંતાજનક છે. ઇજનેરો અને ડોક્ટર માટે નોકરીની તક ઘટી રહી છે. પગાર મળે છે તેનાથી પોતાના પરિવારનું રોજગાર પણ ચલાવી શકતા નથી. મહેકમમાં પણ બે લાખ કરતા વધુ પદો ખાલી પડ્યા છે. જેના કારણે નાગરિકોને ધક્કા ખાવા પડે છે. જેથી માંગ કરીએ છીએ કે સરકારમાં ખાલી પડેલા વિવિધ પદો પર કેલેન્ડરના નામે યુવાનો સાથે ચેડા કરવાનો સરકાર બંધ કરે. કોન્ટ્રાક્ટ પ્રથામાંથી ગુજરાતના યુવાનોને મુક્ત કરવામાં આવે અને રોજગાર સાથે ન્યાય આપવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 7:06 pm

ગુજરાત પર બે દિવસ 'ભારે', સરકારે ખેડૂતો માટે માર્ગદર્શિકા કરી જાહેર, 9 તકેદારી રાખવા સૂચન

Gujarat Rain Forecast: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી તા. 21 માર્ચ, 2026 સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. મુખ્યત્વે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, કચ્છ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. ખેડૂતો માટે માર્ગદર્શિકા આ બદલાયેલા હવામાનને ધ્યાને રાખીને ખેડૂતોના તૈયાર થયેલા અને ખેતરમાં ઉભેલા પાકને નુકસાનથી બચાવવા માટે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા અગાઉથી જ સાવચેતીના પગલાં સૂચવતી વિશેષ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.

ગુજરાત સમાચાર 19 Mar 2026 7:02 pm

વડોદરામાં સામાન્ય બોલાચાલીમાં ચાકુ-તલવારથી હુમલો:તારા કાકા દુકાન આગળ પેશાબ કરતા હતા તો તું વચ્ચે કેમ પડ્યો કહીં માર માર્યો, પોલીસે બે અલગ અલગ ગુના નોંધ્યા

વડોદરા શહેરના કુંભારવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બંને પક્ષો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામલો બિચક્યો હતો. કુંભારવાડા પોલીસે ગાળાગાળી, ધમકી અને હથિયારોનો ઉપયોગ કરવા મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદીને હથિયારો વડે ઈજા પહોંચાડી ધમકી આપીપ્રથમ ફરિયાદમાં ફરિયાદી અરૂણ વાલજીભાઈ બથવાર (રહે. રામેશ્વર સોસાયટી, નાગેશ્વર મંદિર પાસે, વડોદરા) દ્વારા આપેલી ફરિયાદ મુજબ, ગત રાત્રે ગણેશનગર પાસે સચ્ચિદાનંદ દુકાન સામે રોડ પર કલ્પેશભાઈ પરમાર પેશાબ કરવા જઈ રહ્યા હતા, ત્યારે આરોપીઓએ તેમને રોક્યા હતા. આરોપીઓ સાગર અશોકભાઈ ચૌહાણ, પ્રકાશ ઉર્ફે હકો મહેશભાઈ ચૌહાણ, ચીરાગ લાલાભાઈ ચૌહાણ અને ધવલભાઈ રમેશભાઈ પરમાર (બધા રહે. તુલસીવાડી, સંજયનગર, વડોદરા) એ ફરિયાદીને ગંદી ગાળો બોલી, તલવાર-ગુપ્તી જેવા હથિયારોનો ઉપયોગ કરીને ઇજા પહોંચાડી હતી. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આ મામલે આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બંને પક્ષે ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડાયાઆ સાથે આ જ ઘટનાના થોડા કલાક બાદ સાગર અશોકભાઈ ચૌહાણ (રહે. તુલસીવાડી, સંજયનગર-01, વડોદરા)એ ફરિયાદ નોંધાવી હતી કે, અરૂણ વાલજીભાઈ બથવારે તેમને ફોન કરી બોલાવ્યા હતા અને તારા કાકા કલ્પેશભાઈ મારી દુકાન પાસે પેશાબ કરતા હતા તો તું વચ્ચે કેમ પડ્યો? એમ કહી ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ અરૂણભાઈએ ફરિયાદીને ગંદી ગાળો બોલી, ફેટ પકડીને માર માર્યો હતો. તેમણે એક્ટિવા ચાવી સાથે રાખેલું નાનું ચપ્પુ ફરિયાદીની છાતીના ડાબા ભાગે મારી ઇજા પહોંચાડી હતી તથા માથા પર પણ માર માર્યો હતો. આ મામલે કુંભારવાડા પોલીસે બે અલગ અલગ ગુના નોધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં બંને પક્ષે ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 7:00 pm

દાહોદમાં ભાજપ કાર્યકર્તાઓનું સંમેલન:જગદીશ વિશ્વકર્માએ કહ્યું, આગામી 50 વર્ષ સુધી ગુજરાત અને કેન્દ્રમાં ભાજપનું શાસન રહેશે

દાહોદ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને એક ભવ્ય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્માએ આક્રમક તેવર બતાવતા વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે, જેમ વરસાદ પડે ત્યારે દેડકા બહાર આવે છે, તેવી જ રીતે જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે જ કોંગ્રેસના નેતાઓ જનતાની વચ્ચે દેખાય છે. બાકીના સમયમાં કોંગ્રેસ પ્રજાના સુખ-દુઃખમાં ક્યાંય જોવા મળતી નથી. જગદીશ વિશ્વકર્માએ વિશ્વાસ સાથે દાવો કર્યો હતો કે, ભારતની જનતાએ કોંગ્રેસની નકારાત્મક રાજનીતિને ઓળખી લીધી છે અને સતત ત્રણ વખત તેમને જાકારો આપ્યો છે. હવે એવી સ્થિતિ સર્જાઈ છે કે આગામી 50 વર્ષ સુધી કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની સરકાર, કોંગ્રેસનો ક્યાંય મેળ પડવાનો નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે, કોંગ્રેસ પક્ષ પાસે દેશના વિકાસનો કોઈ રોડમેપ નથી, તેઓ માત્ર રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાના એકમાત્ર એજન્ડા સાથે કામ કરી રહ્યા છે. આદિવાસી પટ્ટામાં યોજાયેલા આ સંમેલનમાં તેમણે આદિવાસીઓના વિકાસના મુદ્દે પણ કોંગ્રેસને ઘેરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના લાંબા શાસન દરમિયાન આદિવાસી સમાજનો કોઈ જ વાસ્તવિક વિકાસ થયો નથી, માત્ર મતોની રાજનીતિ કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ, ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સ્થિર સરકાર છે અને વિકાસના કામો છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે. આ ભવ્ય સંમેલનમાં દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયા, ગુજરાત સરકારના મંત્રી રમેશ કટારા, દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિતના અનેક દિગ્ગજ નેતાઓ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના ખૂણેખૂણેથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા, જેને કારણે સમગ્ર વાતાવરણ કેસરિયા રંગે રંગાયું હતું અને આગામી ચૂંટણીઓ માટે ભાજપે મજબૂત રણશિંગુ ફૂંક્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 6:58 pm

ગોધરામાં ભાજપ નેતાની કાર ચોરીનો ભેદ ઉકેલાયો:પોલીસે અંબાજી પાસેથી સ્કોર્પિયો રિકવર કરી, બે આરોપી ઝડપાયા

ગોધરામાં ભાજપ યુવા મોરચાના મહામંત્રી વિવેક શાહની સ્કોર્પિયો કાર ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસે અંબાજી પાસેથી ચોરાયેલી કાર રિકવર કરી છે અને આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે. ગત 5 માર્ચના રોજ ગોધરાના શાંતિનિવાસ સોસાયટી વિસ્તારમાં વિવેક શાહના ઘર આંગણેથી તેમની બ્લેક કલરની સ્કોર્પિયો S11 કારની ચોરી થઈ હતી. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચોરી થયેલી કાર અંબાજી નજીક એક પેટ્રોલ પંપ પાસેથી મળી આવી હતી, જેને પોલીસે કબજે કરી છે. આ ગુનામાં મદદગારી કરનાર શેતાન બાબુરામ ગોદારા અને મદનલાલ નેનારામ નામના બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. જોકે, આ સમગ્ર ચોરીનો મુખ્ય સૂત્રધાર હજારીરામ બિશ્નોઈ હજુ ફરાર છે, જેને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 6:56 pm

સાબરકાંઠામાં ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ:લોકઅપમાંથી આરોપી ફરાર થતાં બેદરકારી મામલે અને તબીબને ફસાવવાના પ્રયાસ બાબતે કડક કાર્યવાહી

સાબરકાંઠા જિલ્લામાં શિસ્તભંગ અને ગેરવર્તણૂકના મામલાઓમાં જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે કડક કાર્યવાહી કરી છે. એક મહિલા સહિત કુલ ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ચિઠોડા પોલીસ સ્ટેશન ખાતે એક આરોપી લોકઅપ ખોલીને ફરાર થઈ ગયો હતો. આ ગંભીર બેદરકારીના મામલે બે પોલીસકર્મીઓ, જેમાં એક મહિલા પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે, તેમને સસ્પેન્ડ કરાયા છે. આ ઘટનામાં કુલ ત્રણ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાંત, હિંમતનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ કોન્સ્ટેબલ પર ધાંગધ્રાના એક તબીબને NDPS કેસમાં ફસાવવાની ધમકી આપી સમાધાનના બહાને નાણાંની માંગણી કરનાર ટોળકીમાં સામેલ હોવાનો આરોપ છે. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને તેની ધરપકડ પણ થઈ હતી. આ સમગ્ર મામલાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક અસરથી ત્રણેય પોલીસકર્મીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરી છે. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓમાં હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વૈભવસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા, ચિઠોડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રમણભાઈ જીવાજી બુવળ અને મહિલા હેડ કોન્સ્ટેબલ રીટાબેન કાનજીભાઈ ડોડીયારનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 6:55 pm

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાને પણ કૂદવું પડશે? સાઉદી અરેબિયા સાથેની ડીલના કારણે મિડલ ઈસ્ટ સંઘર્ષમાં નવો વળાંક

Pakistan to Join Iran-Saudi War? : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે 20 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં નવો ખતરનાક વળાંક આવ્યો છે. હવે આ યુદ્ધમાં ઊર્જા ઠેકાણાઓ પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. આક્રમક બનેલા ઈરાનના કારણે કતાર, સંયુક્ત આરબ અમીરાત સહિત સાઉદી અરેબિયા પણ ભારે સંકટનો સામનો કરી રહ્યું છે. સ્થિતિ એવી ઉભી થઈ છે કે, જો સાઉદી અરેબિયા યુદ્ધમાં એન્ટ્રી કરશે તો તે પાકિસ્તાનની સેનાની મદદ લઈ શકે છે. ઈરાને હુમલો કરતા સાઉદી અરેબિયા ભડક્યું

ગુજરાત સમાચાર 19 Mar 2026 6:54 pm

હર્ષ સંઘવીની 934 લાખના 363 વિકાસ કાર્યોને મંજૂરી:ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રીની કલેક્ટર કચેરીએ બેઠક, કહ્યું- જનહિતના કાર્યોમાં વિલંબ સહન કરવામાં આવશે નહીં

ગાંધીનગરના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે નાયબ મુખ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની મહત્વની બેઠક યોજાઈ હતી. આજે કલેક્ટર કચેરી ખાતે આયોજિત આ ઉચ્ચસ્તરીય બેઠકમાં વર્ષ 2026-27ના આગામી નાણાકીય વર્ષ માટે કુલ 363 વિકાસલક્ષી કાર્યોનું માળખું તૈયાર કરી તેને બહાલી આપવામાં આવી હતી. આ આયોજન હેઠળ જિલ્લાના વિવિધ ક્ષેત્રો માટે 934 લાખથી વધુની ગ્રાન્ટ ફાળવવાનો પ્રજાલક્ષી નિર્ણય લેવાયો છે. નાયબ મુખ્યમંત્રીની વહીવટી તંત્રને સ્પષ્ટ અને કડક સૂચનાઆ બેઠક દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને સ્પષ્ટ અને કડક સૂચના આપતા જણાવ્યું હતું કે, જનહિતના કાર્યોમાં વહીવટી શિથિલતા કે નાની ટેકનિકલ ખામીઓને કારણે વિલંબ સહન કરવામાં આવશે નહીં. તેમણે ભારપૂર્વક કહ્યું કે, કોઈ પણ સરકારી પ્રક્રિયામાં આવતી તકનીકી એરર સામાન્ય જનતાના વિકાસ આડે અવરોધ ન બનવી જોઈએ. શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, રોડ-રસ્તાના કામો પર ધ્યાન કેન્દ્રિતતેમણે અધિકારીઓને પરસ્પર સંકલન સાધીને તમામ પ્રકલ્પો સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને વિકાસની ગતિને વેગ આપવા તેમણે આદેશ આપ્યા હતા. આ આયોજન અંતર્ગત ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, રોડ-રસ્તા અને ગંદા વસવાટોના સુધારણા જેવા પાયાના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 934 લાખની ફાળવણી સાથે 363 કામોને મંજૂરી જે અન્વયે કુલ 950 લાખના સૂચિત કામોમાંથી 934.23 લાખની ફાળવણી સાથે 363 કામોને મંજૂરી અપાઈ છે. જેમાં તાલુકા કક્ષાની વિવેકાધીન ગ્રાન્ટ, ખાસ અંગભૂત યોજના અને નગરપાલિકા કક્ષાની ગ્રાન્ટનો સમાવેશ થાય છે. આ બેઠકમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્યો અલ્પેશ ઠાકોર, રીટાબેન પટેલ સહિતના ઉચ્ચ પદાધિકારીઓ અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 6:46 pm

વ્યાજખોરોનો આતંક, 2 FIR નોંધાઈ:મહિધરપુરામાં વ્યાજખોર દ્વારા સફાઈ કામદાર મહિલા પાસેથી પઠાણી ઉઘરાણી, વેડરોડમાં રૂપિયાની વસૂલી માટે વ્યાજખોરોએ યુવકને ચપ્પુ બતાવ્યું

સુરત શહેરના મહીધરપુરા પોલીસ મથક વિસ્તારમાં રહેતા અને સુરત મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતી મહિલાએ ઉતરાણમાં રહેતા યુવક પાસેથી 10% ના વ્યાજે 50,000 રૂપિયા લીધા હતા. જોકે ત્યારબાદ યુવકે તેમની પાસેથી વ્યાજ તથા મુદ્દલ રકમ મળી કુલ 1.55 લાખ વસૂલી લીધા બાદ પણ ખોટી રીતે બે લાખનો ચેક વટાવી વધારે નાણાંની ઉઘરાણી કરી બીજા 50,000 ની માંગણી કરી હતી અને જેના માટે અવારનવાર ધાક ધમકી આપતા આખરે ભોગ બનનાર સફાઈ કર્મચારી મહિલાએ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વ્યાજખોર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહિલા સફાઈ કર્મચારી પાસેથી માસિક 10 ટકા વ્યાજની વસૂલાતબનાવની વિગત એવી છે કે સુરત મહાનગર પાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતી લલીતાબેન નામની મહિલાએ બે વર્ષ પહેલા ઉતરાણ રેલવે સ્ટેશન પાસે આવેલ રીધમ રેસીડેન્સીમાં રહેતા ભાવેશભાઈ દિનેશભાઈ ઝા પાસે 10% ના વ્યાજે રૂપિયા 50,000 લીધા હતા. જો કે જે તે સમયે ભાવેશભાઈએ વ્યાજના એડવાન્સમાં રૂપિયા 5,000 કાપી લીધા હતા અને દર માસનો હપ્તો રૂપિયો 10,000 નક્કી કરી સમયે નિયમિત સમયે આપતો નક્કી કરી 15 મહિના સુધી કુલ રૂપિયા 1.55 લાખ મેળવી લીધા હતા. તેઓએ પોતાની પાસે સિક્યુરિટી પેટે બળજબરી પૂર્વક લખાવેલ સહીવાળા ચેકમાં રૂપિયા બે લાખની રકમ ભરી તેને પાસ કરવાની માટે બેંકમાં નાખી દીધો હતો અને ત્યારબાદ ચેક પરત થતા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે લલિતાબેનને નોટિસ મોકલી હતી અને અવારનવાર ઉઘરાણું કરવા આવી તેઓને 10% ના વ્યાજ દર રૂપિયા 50,000 ચૂકવવાના બાકી છે તેમ કહીને ધમકી આપતા હતા. જેથી આખરે ભોગ બનનાર લલીતાબેને આ મામલે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વેડરોડમાં રૂપિયાની વસૂલી માટે વ્યાજખોરોએ યુવકને ચપ્પુ બતાવ્યુંશહેરના ચોક બજાર વિસ્તારમાં વેડ રોડ પર રહેતા અને મજૂરી કામ કરતા યુવકે વેડ રોડ ઉપર રહેતા અન્ય યુવક પાસેથી 10% ના વ્યાજે 20,000 રૂપિયા ઉછીના લીધા હતા. જોકે તેમનો સમયસર વ્યાજ પણ ચૂકવી આપતાં હતો. પરંતુ યુવક પાસે ટૂંક સમય માટે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી તેમણે ચાર મહિનાનો સમય માંગ્યો હતો પરંતુ વ્યાજખોર ઈસમે તેમને સમય નહીં આપી એલ ફેલ ગાળો આપી ધાક ધમકી આપી ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર યુવકે આ મામલે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે વેડરોડ પર અખંડ આનંદ કોલેજ ની પાસે ત્રિવેણી સોસાયટીમાં આવેલ વિનાયક વિહાર એપાર્ટમેન્ટમાં રહેતા આયુષ પરફેક્ટ ટમાટર ઉર્ફે કાળીયો વિનોદભાઈ બાજીરાવ ભાઈ ચૌધરી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જુન 2025 માં તેમને પૈસાની જરૂર પડતા તેઓએ વેડ રોડ પર અખંડ આનંદ કોલેજ ની સામે ત્રિલોક સોસાયટીમાં રહેતા પ્રીત ઉર્ફે ભીમ ઉર્ફે પિયુષ ખીમજીભાઈ સોસા પાસેથી 10% ના વ્યાજે 20,000 રૂપિયા લીધા હતા. જોકે ત્યારબાદ આયુષે જુલાઈ 2025 થી ડિસેમ્બર 2025 સુધી દર મહિને 10% ના લેખે કુલ રૂપિયા 12,000 વ્યાજ આપ્યું હતું. તેમની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેમણે ચાર મહિનાના સમયની માંગણી કરી હતી પરંતુ પ્રીત ઉર્ફે ભીમે ચાર મહિનાના સમય આપવાને બદલે તારે દર મહિને વ્યાજ તો બરાબર ચૂકવવું જ પડશે તેવું કરીને તેમને ધમકી આપી હતી અને ત્યારબાદ અવારનવાર એલફેલ ગાળો આપી હેરાન પરેશાન કરતો હતો. આ ઉપરાંત તેમની સાથે અંકિત અનિલભાઈ ઠાકોર (રહે રાંદલ પાર્ક એપાર્ટમેન્ટ વિશ્રામ નગર સોસાયટી અખંડ આનંદ કોલેજ ની સામે વેડ રોડ) પણ આયુષ પાસે આવી ત્યારે સમયસર વ્યાજે રૂપિયા ચૂકવવા પડે તેમ કહીને તેમણે પણ ગાળો આપી હતી. થોડા દિવસ પહેલા પ્રીત ઉર્ફે ભીમે તેમના ઘર પાસે આવી મુદ્દલ રકમની માંગણી સાથે વ્યાજના રૂપિયા 9,000ની માંગણી કરી હતી અને જો તું બે દિવસમાં તમામ પૈસા નહીં આપે તો તેને જાનથી મારી નાખીશ તેમ કહીને ચપ્પુ બતાવી ધમકી આપી હતી. જેથી આખરે આયુષે આ મામલે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 6:42 pm

મોડાસામાં નવ દિવસીય આધ્યાત્મિક કાર્યક્રમનો પ્રારંભ:ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે રાષ્ટ્ર કલ્યાણ માટે અનુષ્ઠાન શરૂ

મોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ચૈત્રી નવરાત્રિના પાવન અવસર પર નવ દિવસીય આધ્યાત્મિક કાર્યક્રમનો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમ આજથી શરૂ થયો છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્ર જાગરણ, વિશ્વ કલ્યાણ, દુષ્ટ પ્રવૃત્તિઓનું ઉન્મૂલન અને સદપ્રવૃત્તિઓનું સંવર્ધન કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન દરરોજ ગાયત્રી ચાલીસાનું પાઠ અને ગાયત્રી મંત્રના જાપ સાથે તપ તથા સાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવ દિવસીય અનુષ્ઠાનમાં ભક્તો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમની પૂર્ણાહુતિ નવરાત્રિના અંતિમ દિવસે વિશેષ યજ્ઞ દ્વારા કરવામાં આવશે. આ યજ્ઞમાં રાષ્ટ્રના કલ્યાણ માટે આહુતિઓ અર્પણ કરાશે. રાષ્ટ્રની સમૃદ્ધિ, શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના સાથે કાર્યક્રમ સંપન્ન થશે. આયોજનકર્તાઓએ જણાવ્યું કે, આવા આધ્યાત્મિક કાર્યક્રમો સમાજમાં સકારાત્મકતા ફેલાવવા અને માનવ મૂલ્યોને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 6:40 pm

પાટણ યુનિવર્સિટીમાં 23મો હેમચંદ્રાચાર્ય સંસ્કૃત સમારોહ શરૂ:પ્રો. નિરંજન પટેલે રામાયણને ભારતીય જીવનનો પાઠ ગણાવ્યો

પાટણ યુનિવર્સિટી ખાતે 23મા ત્રિ-દિવસીય અખિલ ભારતીય હેમચંદ્રાચાર્ય સંસ્કૃત સમારોહનો પ્રારંભ થયો છે. આ સમારોહનું આયોજન છેલ્લા 23 વર્ષથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો સંસ્કૃત વિભાગ પ્રતિવર્ષ કરે છે. સમારોહના મુખ્ય વક્તા અને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નિરંજન પટેલે રામાયણને ભારતીય જીવન મૂલ્યોનો પાઠ ગણાવ્યો હતો. પ્રોફેસર નિરંજન પટેલે તપસ્વી નાંદી આઠમી વ્યાખ્યાનમાળા અંતર્ગત રામાયણને કેન્દ્રમાં રાખીને વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે અહલ્યાના પ્રસંગને નવી રીતે સમજાવતા કહ્યું કે, રામે પથ્થરને સ્પર્શ કરવાથી અહલ્યા બની એમ નહીં, પરંતુ રામે ન ખેડાયેલી જમીનને સુધારી ખેતીલાયક બનાવી હતી. આવા અનેક ઉદાહરણો સાથે તેમણે પોતાના વ્યાખ્યાનને રસમય બનાવ્યું હતું અને ઉપસ્થિત અધ્યાપકો તથા વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સમારોહના અધ્યક્ષ પ્રોફેસર કે.સી. પોરિયાએ ભારતીય જ્ઞાન પરંપરાની આવશ્યકતા પર ભાર મૂકીને વર્તમાન સ્થિતિ અને પરંપરાગત ભારતીય જ્ઞાનના સંયોગની વાત રજૂ કરી હતી. ઉદયપુરથી આવેલા અતિથિ વિશેષ ડૉ. નીરજ શર્માએ મણિભાઈ વ્યાખ્યાનમાળાના ભાગ રૂપે વૈદિક કૃષિ વિશે વાત કરી હતી. વારાણસીથી આવેલા પાલી, પ્રાકૃત અને સંસ્કૃતના વિદ્વાન રામાનાથ પાંડેએ ભારતીય ભાષાઓના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. કુલસચિવ રોહિત દેસાઈએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ સેમિનારમાં પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવનાર આઠ વિદ્યાર્થીઓને જયજીત ફેલોશિપ અંતર્ગત રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રાજ્યમાં સંસ્કૃતના બે અધ્યાપકો, પાટણના સંસ્કૃત વિભાગના ડૉ. દિલીપ પટેલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રાજાભાઈ કાથડને ICSSR, નવી દિલ્હીથી રિસર્ચ પ્રોજેક્ટ માટે અનુદાન મેળવવા બદલ સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. દેવસિંહ બી. રાઠવા દ્વારા સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ ત્રિ-દિવસીય સેમિનાર હજુ બે દિવસ ચાલશે, જેમાં અંદાજે 180 જેટલા લોકો ભાગ લેશે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 6:39 pm

સુરતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ:સહારા દરવાજા ગરનાળામાં ગટરના ગંદા પાણીની રેલમછેલ, વાહનચાલકો ત્રસ્ત

સુરત શહેર સ્માર્ટ સિટી અને સ્વચ્છતા માટે દેશભરમાં જાણીતું છે, ત્યાં આજે એક વિરોધાભાસી ચિત્ર જોવા મળી રહ્યું છે. અત્યારે માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને સૂર્યનારાયણ આકરા તપી રહ્યા છે. લોકો ઉનાળાની ગરમીથી બચવા ઠંડા પીણા અને એસીનો સહારો લઈ રહ્યા છે પરંતુ, સુરતના મધ્ય વિસ્તાર ગણાતા સાહિરા દરવાજા વિસ્તારમાં જાવ તો તમને એવું લાગશે કે અહીં ચોમાસું બેસી ગયું છે. અનેક વાહનચાલકો ગટરીયા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતારસ્તાઓ પર વરસાદી પાણી નહીં પણ ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે. સારા દરવાજા ગરનાળામાં (અંડરપાસ) સર્જાયેલી આ સ્થિતિએ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી અને મેઈન્ટેનન્સના દાવાઓની પોલ ખોલી નાખી છે. સહારા દરવાજા વિસ્તારમાં આવેલી મુખ્ય ગટર લાઈનમાં ઉભરાઈ હતી. ગટરમાંથી સતત વહેતું ગંદુ પાણી ગરનાળા (અંડરપાસ)માં પ્રવેશી રહ્યું છે. પરિસ્થિતિ એવી છે કે, ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે. પાણી જ ભરાઈ જતા અનેક વાહનચાલકો ગટરીયા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. ગરનાળામાં પાણી ભરાવાને કારણે વાહનોની ગતિ ધીમી પડી જાય છેસુરતની ઓળખ તેની ટેક્સટાઈલ માર્કેટ છે. સાહારા દરવાજા વિસ્તારમાં એશિયાની સૌથી મોટી ગણાતી ટેક્સટાઈલ માર્કેટના પ્રવેશ દ્વારથી દરરોજ હજારો વેપારીઓ, ગ્રાહકો, મજૂરો અને ટેમ્પો ચાલકો આ ગરનાળામાંથી પસાર થાય છે. ગરનાળામાં ગંદા પાણી ભરાવાને કારણે માલ ભરીને જતા ટેમ્પો અને રિક્ષાઓ જાય છે. ગરનાળામાં પાણી ભરાવાને કારણે વાહનોની ગતિ ધીમી પડી જાય છે. પીક અવર્સમાં અહીં ટ્રાફિક જામ સર્જાય છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 6:39 pm

બોટાદમાં કમોસમી વરસાદ:સાંજે વાવાઝોડું આવતા અંધારપટ છવાયો, વૃક્ષોને નુકસાન

બોટાદ શહેરમાં ઉનાળાની ઋતુમાં સાંજના સમયે ભારે વાવાઝોડા સાથે વરસાદ નોંધાયો હતો. સાંજે પાંચથી સાડા પાંચ વાગ્યાની આસપાસ તીવ્ર વાવાઝોડાને કારણે સમગ્ર શહેરમાં અંધારપટ છવાઈ ગયો હતો. વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, PGVCLની ટીમે સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે સમગ્ર વિસ્તારનો વીજળી પુરવઠો બંધ કરી દીધો હતો. શહેરના પાળીયાદ રોડ, ભાવનગર રોડ અને ગઢડા રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં ડિવાઈડર વચ્ચે વાવેલા અનેક વૃક્ષો વાવાઝોડાના કારણે વાંકા વળી ગયા હતા. આ વાવાઝોડાની વ્યાપક અસર શહેરના દરેક વિસ્તારોમાં જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 6:34 pm

72 મિનિટમાં જ તસ્કરોનો દુકાનમાં હાથ સફાયો:ઉધનામાં બે દુકાનમાં ત્રાટકેલી 'ગેંગ ઓફ 5' ઝડપાઈ, 1.86 લાખની ચોરી કરતા CCTV કેમેરામાં કેદ

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી જાણીતી ગોકુળ બેકરી એન્ડ લાઈવ કેક શોપ તથા ગોકુળ ફરસાણની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. ગત તા. 17 માર્ચના રોજ મધરાતે તસ્કરોએ 72 મિનિટમાં આ બંને દુકાનોના શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ બેકરીના કાઉન્ટરમાંથી 1,81,000 અને ફરસાણની દુકાનમાંથી 5,000 મળી કુલ 1,86,000 ની રોકડ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. મધરાતે 2:33થી 3:45 વચ્ચે ચોરીનો ખેલાયો ખેલપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ચોરીની ઘટના મધરાતે 2:33 વાગ્યાથી 3:45 વાગ્યા દરમિયાન બની હતી. તસ્કરોએ 1 કલાક કરતા વધુ સમય સુધી દુકાનમાં રોકાઈને આરામથી ચોરીને અંજામ આપ્યો હતો. ઉધના ગાયત્રી સોસાયટી, પ્લોટ નંબર 88 અને 99 સ્થિત આ બંને દુકાનોમાં તસ્કરોએ કોઈ સાધન વડે શટર તોડ્યા હોવાનું સામે આવ્યું છે. ચોર આરામથી બેસીને આખી દુકાન ચેક કરતા હતાદુકાનમાં લાગેલા CCTV કેમેરામાં ચોરીની સમગ્ર લાઈવ ઘટના કેદ થઈ હતી. ફૂટેજમાં જોવા મળ્યું હતું કે ત્રણ શખસો પૈકી એક ચોર દુકાનની બહાર ઊભો રહીને ધ્યાન રાખતો હતો. જ્યારે બાકીના બે તસ્કરો દુકાનની અંદર જઈ આરામથી બેસીને પહેલા આખી દુકાન જોઈ લેતા હતા અને ત્યારબાદ ચોરી કરતા હતા. તેઓ વારંવાર એક જગ્યાએ બેસતા પણ નજરે પડ્યા હતા. ઉધના સર્વેલન્સ અને ક્રાઈમ બ્રાંચને મળી સફળતાઘટનાની ગંભીરતા જોઈને ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ અને ક્રાઈમ બ્રાંચની ટીમે સંયુક્ત તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે કુલ 5 આરોપીઓને દબોચી લીધા છે. પોલીસની આ ઉત્કૃષ્ટ કામગીરીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ બિરદાવવામાં આવી છે અને શહેરની સુરક્ષા વ્યવસ્થા મજબૂત હોવાનો સંકેત આપવામાં આવ્યો છે. પાંચેય આરોપીઓની ધરપકડ આ તમામ આરોપીઓ હાલ સુરતના કતારગામ અને વેડરોડ વિસ્તારમાં ભાડે રહેતા હોવાનું સામે આવ્યું છે. રોકડ સહિત કુલ 87,800ની મત્તા કબજેઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે ચોરીમાં ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ (કિંમત 30,000), રેડમી મોબાઈલ (કિંમત 5,000) અને ઘરફોડ ચોરીમાં ગયેલ રોકડ રકમ પૈકી 52,800 રિકવર કર્યા છે. આમ, કુલ 87,800 ની મત્તાનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે. બાકીની રકમ અંગે પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરીને તપાસને વેગવંતી બનાવી દીધી છે. ડેનીશ સામે 17 અને ભગીરથ સામે 4 ગુનાઝડપાયેલા આરોપીઓ પૈકી ડેનીશ ઉર્ફે ડેનીયો સામે હત્યા, લૂંટ અને ચોરી જેવા 17 જેટલા ગંભીર ગુનાઓ અગાઉ નોંધાયેલા છે. જ્યારે ભગીરથ મકવાણા સામે કતારગામ અને અડાજણ સહિતના પોલીસ સ્ટેશનોમાં 4 ગુના નોંધાયેલ છે. આ આરોપીઓ અગાઉ 'પાસા' હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે, જે દર્શાવે છે કે તેઓ રીઢા ગુનેગારો છે. BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલઉધના પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 305(A), 331(4), 3(5) મુજબ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે. પોલીસ તપાસમાં એવી પણ શક્યતા છે કે આ ટોળકીએ અગાઉ પણ શહેરમાં અન્ય કોઈ વિસ્તારમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હોય. ટૂંક સમયમાં પોલીસ રિમાન્ડ મેળવીને વધુ તપાસ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 6:33 pm

સુરેન્દ્રનગર ગુરુકુલમાં બ્રહ્મ મહોત્સવનું આયોજન:ચૈત્ર સુદ પડવાથી નવમી સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે

સુરેન્દ્રનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં બ્રહ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ સંસ્થાનની આ શાખામાં ચૈત્ર સુદ પડવાથી ચૈત્ર સુદ નોમ સુધી, એટલે કે 19 એપ્રિલથી 28 એપ્રિલ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ગુરુવર્ય દેવ કૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ અને મહંત સ્વામીની પ્રેરણાથી આ મહોત્સવ અંતર્ગત જપ, તપ, ઝૂલા અને યજ્ઞ જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ નવ દિવસ દરમિયાન 25 કુંડી જલયાગ કરવામાં આવશે. દરરોજ સવાર-સાંજ પારણીયામાં ઠાકોરજીનું પૂજન થશે. કીર્તન ભક્તિ અને પ્રભાતફેરીનું પણ આયોજન કરાયું છે. સુરેન્દ્રનગર અને આસપાસના ગામડાઓમાં મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન અને પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ આયોજનમાં ગુરુકુલના તમામ બાળકો, કર્મચારીઓ તેમજ ગુરુકુલ પરિવારના સત્સંગી ભાઈ-બહેનો અને બાળકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 6:32 pm

લીવ ઓન કેશ કૌભાંડમાં સરકાર સખત:અધિકારીઓ સામે કાર્યવાહી, 31 માર્ચ સુધી રકમ પરત આપવા અલ્ટીમેટમ

રાજ્યના સરકારી દવાખાનાઓમાં આઉટસોર્સિંગ મારફતે કામ કરતા કર્મચારીઓના લીવ ઓન કેશના નાણાંમાં ગેરરીતિ સામે આવ્યા બાદ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ એકશનમાં આવ્યું છે. ભાવનગર અને દાહોદ જિલ્લામાં આ મામલે ગંભીર આક્ષેપો થયા બાદ વિભાગે તાત્કાલિક પગલાં લેતા ભાવનગરના તત્કાલિન વિભાગીય નાયબ નિયામક હરેશ વાળાનો ચાર્જ હટાવી ડો. કલ્પનાબેન ચૌહાણને જવાબદારી સોંપી છે. જ્યારે ભાવનગરના સીડીએચઓ ચંદ્રમણીકુમારની પોરબંદર બદલી કરી દેવામાં આવી છે. દાહોદના CDHO ઉદય ટીલાવત વિરુદ્ધ પણ તપાસના આદેશ અપાયા છે. લીવ ઓન કેશના પૈસા એજન્સીઓને ચુકવી ગેરરીતિ આચરીઆ કેસમાં આક્ષેપ છે કે, કેટલાક અધિકારીઓએ આઉટસોર્સિંગ એજન્સીઓ સાથે સાંઠગાંઠ કરી કર્મચારીઓને મળવાના લીવ ઓન કેશના પૈસા એજન્સીઓને ચુકવી ગેરરીતિ આચરી છે. સમગ્ર મામલે રાજકોટ અને વડોદરા વિભાગીય નાયબ નિયામકોને અલગ-અલગ તપાસ સોંપવામાં આવી છે. વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર પર કાબૂ મેળવવામાં મદદ મળશેગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયે સરકારની કાર્યવાહીનું સ્વાગત કરતા જણાવ્યું કે, આ પગલાંથી વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર પર કાબૂ મેળવવામાં મદદ મળશે. આ સાથે જ તેમણે અન્ય જિલ્લાઓના અધિકારીઓને ચેતવણી આપતા 31 માર્ચ સુધીમાં ગેરરીતિથી ચૂકવાયેલા તમામ નાણાં એજન્સીઓ પાસેથી વસૂલ કરી કર્મચારીઓને ચૂકવવા અલ્ટીમેટમ આપ્યું છે. નહીં તો આગામી દિવસોમાં આવા અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ સાથે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 6:30 pm

ચેક રિટર્ન કેસમાં સજા પામેલો આરોપી ઝડપાયો:અમદાવાદ કોર્ટના વોરંટ આધારે વિદ્યાનગર પોલીસે દબોચ્યો

વિદ્યાનગર પોલીસે ચેક રિટર્ન કેસમાં સજા પામેલા એક આરોપીને ઝડપી પાડ્યો છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળ અમદાવાદ કોર્ટ દ્વારા ઇસ્યુ કરાયેલા સજા વોરંટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદની ફેમિલી કોર્ટે આરોપી દર્શનદાન હિતેશદાન ગઢવી (રહે. બાકરોલ રોડ, આણંદ) વિરુદ્ધ 5 ફેબ્રુઆરી 2026 ના રોજ સજાનો હુકમ કર્યો હતો. વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.આર. ગોહીલના માર્ગદર્શન હેઠળ, હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ, કોન્સ્ટેબલ રાજનસિંહ અને ભરતભાઇ સહિતની ટીમે 18 માર્ચ 2026 ના રોજ આરોપી દર્શનદાન ગઢવીને બાકરોલ રોડ પરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 6:29 pm

પ્રોફેસર હિતેન્દ્ર પટેલ રોયલ સોસાયટીના અધ્યક્ષ બન્યા:લંડન સ્થિત રોયલ સોસાયટી ઓફ કેમિસ્ટ્રીના વેસ્ટ ઈન્ડિયા લોકલ સેક્શનમાં વરણી

વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી (SPU) ના રસાયણશાસ્ત્ર વિભાગના પ્રોફેસર હિતેન્દ્ર પટેલની વિશ્વવિખ્યાત 'રોયલ સોસાયટી ઓફ કેમિસ્ટ્રી' (લંડન) ના માનદ અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. આ નિમણૂક લંડન સ્થિત સંસ્થાના વેસ્ટ ઈન્ડિયા લોકલ સેક્શન (ભારત) માટે કરવામાં આવી છે. કેમિસ્ટ્રી ક્ષેત્રે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી આ સંસ્થા દ્વારા પશ્ચિમ ભારતના વિભાગ માટે પ્રોફેસર પટેલની પસંદગી કરવામાં આવી છે. આ સિદ્ધિથી વલ્લભ વિદ્યાનગર અને સમગ્ર શૈક્ષણિક જગતમાં આનંદની લાગણી પ્રસરી છે. સરદાર પટેલ યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગમાં પ્રોફેસર પટેલ વર્ષોથી કાર્યરત છે. તેમની આંતરરાષ્ટ્રીય સ્તરની આ નિમણૂકથી આગામી સમયમાં કેમિકલ સાયન્સ અને સંશોધન ક્ષેત્રે પશ્ચિમ ભારતના વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોને વૈશ્વિક સ્તરનું પ્લેટફોર્મ અને માર્ગદર્શન મળશે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 6:19 pm

નવસારી સ્થાનિક સ્વરાજ ચૂંટણી: ભાજપ-કોંગ્રેસે પ્રભારી, નિરીક્ષકો જાહેર કર્યા.:ભાજપે અશોક ધોરાજીયાને મહત્વની જવાબદારી સોંપી

નવસારી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. નવસારી મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ કમર કસી છે. બંને પક્ષોએ પોતાની વિજયી રણનીતિ ઘડવા માટે પ્રભારીઓ અને નિરીક્ષકોની નિમણૂક કરી છે. પ્રદેશ કોંગ્રેસે નવસારીમાં સંગઠનને મજબૂત કરવા અને ચૂંટણીમાં સારો દેખાવ કરવા અનુભવી નેતાઓને જવાબદારી સોંપી છે. જિલ્લા નિરીક્ષક તરીકે ધનસુખ રાજપુત અને અસલમ સાયકલવાળાની નિમણૂક કરાઈ છે. અસલમ સાયકલવાળાની નવસારી મુલાકાતોમાં છેલ્લા કેટલાક સમયથી વધારો જોવા મળ્યો છે. ગણદેવી નગરપાલિકા અને ચીખલી માટે મેહુલ વશી, નવસારી-જલાલપોર તાલુકા માટે પવન મિશ્રા અને ખેરગામ માટે અનિલ ચૌધરીને જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપે પણ પોતાની તમામ બેઠકો જાળવી રાખવા વ્યૂહાત્મક તૈયારીઓ કરી છે. પક્ષે અશોક ધોરાજીયાને નવસારીની મહત્વની જવાબદારી સોંપી છે. ધોરાજીયા દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી જીતવાનો બહોળો અનુભવ ધરાવે છે, જેમાં ડાંગ, તાપી અને વલસાડ જિલ્લાની સ્થાનિક સ્વરાજ અને વિધાનસભા ચૂંટણીઓનો સમાવેશ થાય છે. તેમની સાથે સનમ પટેલ, પિયુષ પટેલ અને કરસન ટીલવાને પણ સહ-ઇન્ચાર્જ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. રસપ્રદ બાબત એ છે કે, ભાજપે ચૂંટણી પ્રભારીઓની યાદી જાહેર કર્યાના ગણતરીના કલાકોમાં જ તેને ડિલીટ કરી દીધી હતી. જોકે, યાદી પાછી ખેંચાયા છતાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને સોશિયલ મીડિયા પર અશોક ધોરાજીયાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને નવસારી લાંબા સમયથી ભાજપનો ગઢ મનાય છે. આ ગઢમાં ગાબડું પાડવું કોંગ્રેસ માટે મોટો પડકાર છે. ભાજપ સામે પોતાની સત્તા જાળવી રાખવાનો લક્ષ્યાંક છે, જ્યારે કોંગ્રેસે વધુ બેઠકો જીતવા માટે સઘન પ્રયાસો કરવા પડશે. આગામી દિવસોમાં નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ વધુ રોમાંચક બનશે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 6:17 pm