ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. બનાસકાંઠા જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકો પર ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. પાટણ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. પાટણ જિલ્લા અને તાલુકા પંચાયતની તમામ બેઠકના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ
ગુજરાતમાં આવતીકાલથી ત્રણ દિવસ આગઝરતી ગરમીની આગાહી કરવામાં આવી છે. 24 તારીખથી મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર સહિતના શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. જ્યારે 26 એપ્રિલે મતદાનના દિવસે પણ રાજ્યમાં મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે.કાલથી આકરા તાપનું ટોર્ચર શરૂ થશેહવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એકે દાસના જણાવ્યા અનુસાર, આજથી 28 એપ્રિલ દરમિયાન ગુજરાત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે. આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, 24, 25 અને 26 એપ્રિલ દરમિયાન તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે. ત્યારબાદ ફરીથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. એટલે કે આ અઠવાડિયાના અંતમાં મહતમ તાપમાન 42 ડિગ્રીએ પહોંચવાનું પૂર્વાનુમાન હવામાન વિભાગનું છે.સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 અને 25 એપ્રિલ દરમિયાન ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાં ભેજનું પ્રમાણ અને ઊંચા તાપમાનને કારણે સામાન્ય કરતાં વધુ અકળામણ અનુભવાશે. અમદાવાદમાં આકાશ મુખ્યત્વે સાફ રહેશે અને મહત્તમ તાપમાન 41થી 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. મતદાનના દિવસે 43 ડિગ્રીએ તાપમાન પહોંચી શકેઆગામી 26 એપ્રિલ એટલે કે ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 37થી 38 ડિગ્રી રહેવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 15 થી 20 નોટ રહેવાની પણ આગાહી છે. 22 એપ્રિલે રાજ્યમાં સૌથી ગરમ અમદાવાદરાજ્યમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થયા બાદ રાજકોટ સૌથી ગરમ શહેર રહેતું આવ્યું છે. જો કે, ગઈકાલે 22 એપ્રિલે 40.8 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ સિટી રહ્યું હતું. જ્યારે રાજકોટમાં 40.4 ડિગ્રી, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી, જ્યારે વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવુંરાજ્યમાં સતત વધતી ગરમીને કારણે બપોરના સમયે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ મોઢે રૂમાલ, દુપટ્ટો બાંધીને અથવા છત્રીનો ઉપયોગ કરીને ગરમીથી બચવા પ્રયાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની શક્યતા હોવાથી આરોગ્ય વિભાગ અને હવામાન વિભાગે બપોરે કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.આ પણ વાંચો:ઓડિશામાં 44.6C તાપમાન, બપોરે વસ્તી ગણતરી પ્રક્રિયા પર રોક, યુપીમાં રસ્તાઓ પર વોટર સ્પ્રે; દિલ્હીની શાળાઓમાં પાણી પીવા માટે વાગશે ઘંટડી દેશના અડધાથી વધુ રાજ્યોમાં હીટવેવ ચાલુ છે. બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં બુધવારે તાપમાન 40C થી 45C ની વચ્ચે રહ્યું છે. ઓડિશાનું ઝારસુગુડા બુધવારે 44.6C તાપમાન સાથે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું. હીટવેવને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે બપોરના સમયે વસ્તી ગણતરી પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે.એટલે કે, ફિલ્ડ સ્ટાફ હવે સવારે 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા દરમિયાન વસ્તી ગણતરીનું કામ કરશે નહીં. બૌધ અને મયુરભંજ જિલ્લામાં 23 એપ્રિલ સુધી તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ તરફ, દિલ્હીની શાળાઓમાં વોટર બેલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. દર 45 થી 60 મિનિટે ઘંટડી વગાડવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને પાણી પીવાનું યાદ અપાવી શકાય અને ડિહાઇડ્રેશનથી બચાવી શકાય.સંપૂર્ણ સમાચાર વાંચો
સુરતના પલસાણા તાલુકાના ચલથાણ ગામમાં ગત 17 તારીખે ગેસ લીકેજને કારણે થયેલા ભીષણ વિસ્ફોટમાં ગંભીર રીતે દાઝેલા 6 લોકો પૈકી 3 લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે. આ હૃદયદ્રાવક ઘટનામાં ઘરમાલિક, પાડોશી મહિલા અને એક માસૂમ બાળકે જીવ ગુમાવતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાએ ઔદ્યોગિક વિસ્તારોમાં ભાડે આપવામાં આવતાં મકાનોમાં સુરક્ષા અને વેન્ટિલેશનના અભાવ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. શું હતી સમગ્ર ઘટના? ચલથાણની ખુમાનસિંહ વાડી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા ઘરમાલિક નીરજ મિશ્રા (ઉ.વ. 40) ગત 17 તારીખે સવારે રસોઈ બનાવ્યા બાદ ભૂલથી ગેસ ચાલુ રાખીને નોકરી પર ગયા હતા. આખો દિવસ ગેસ લીક થવાને કારણે બંધ ઘર 'ગેસ ચેમ્બર'માં ફેરવાઈ ગયું હતું. સાંજે જ્યારે નીરજ મિશ્રા ઘરે પરત ફર્યા, ત્યારે પાડોશમાં રહેતી દુર્ગાવતી દેવીએ તેમને ઘરમાંથી ગેસની તીવ્ર વાસ આવતી હોવાની જાણ કરી હતી. નીરજે સાવધાની રાખવાને બદલે જેવો દરવાજો ખોલીને લાઈટની સ્વિચ ચાલુ કરી, કે તરત જ સ્પાર્ક થતાં ઘરમાં પ્રચંડ ધડાકો થયો હતો. બ્લાસ્ટમાં કોણે જીવ ગુમાવ્યો? આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ઘરની અંદર રહેલા નીરજ મિશ્રા, પાડોશી મહિલા દુર્ગાવતી દેવી અને તેમના ચાર બાળક ગંભીર રીતે દાઝી ગયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન નીચે મુજબના 3 લોકોના મોત નિપજ્યાં છે: વેન્ટિલેશનનો અભાવ અને સુરક્ષાના સવાલો સ્થાનિક સ્તરેથી મળેલી માહિતી અનુસાર, આ એપાર્ટમેન્ટના જે રૂમમાં આ ઘટના બની, ત્યાં વેન્ટિલેશન (હવા-ઉજાસ)ની કોઈ જ વ્યવસ્થા ન હતી. રૂમમાં માત્ર એક બારી અને દરવાજો હોવાથી લીક થયેલો ગેસ બહાર નીકળી શક્યો નહીં અને રૂમમાં ભરાઈ રહ્યો. ઔદ્યોગિક વિસ્તારોમાં મકાન માલિકો દ્વારા વધુ ભાડું મેળવવાની લાલચમાં સુરક્ષાના તમામ માપદંડોને નેવે મૂકીને બનાવેલા આવા રૂમો શ્રમિકો માટે મોતનું કારણ બની રહ્યા છે. આ ઘટનાએ પૂરતા વેન્ટિલેશન અને ગેસ સુરક્ષા બાબતે લોકોમાં જાગૃતિ લાવવાની જરૂરિયાત પર લાલબત્તી ધરી છે. ---- આ પણ વાંચો એકસાથે 9 જિંદગીઓ જીવતી ભડથું થઈ! યુપીના મિર્ઝાપુરમાં બુધવારે રાત્રે માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા. મધ્યપ્રદેશથી કપચી ભરીને આવી રહેલું ટ્રેલર બ્રેક ફેઈલ થતાં બેકાબૂ બન્યું હતું. ટ્રેલરે પહેલા સ્વિફ્ટ કારને ટક્કર મારી, પછી એક ટ્રક સાથે અથડાયું. કાર બંને ટ્રકોની વચ્ચે ફસાઈ ગઈ. આ દરમિયાન પાછળથી આવી રહેલી બોલેરો ટ્રોલામાં ઘૂસી ગઈ. સંપૂર્ણ અહેવાલ વાંચો… લીંબડીમાં પતિ-પત્ની જીવતા ભૂંજાયા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં આવેલી વોરા સોસાયટીમાં ગત 17 એપ્રિલે મોડી રાત્રે લાગેલી ભયાનક આગમાં એક સુખી સંપન્ન દંપતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં તંત્રની ભારે બેદરકારી અને લીંબડી નગરપાલિકાની ફાયર સેવાની પોલ ખુલી ગઈ હતી. મૃતકના પરિવારજનો અને સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, જો ફાયરની ટીમ સમયસર પહોંચી હોત તો દંપતીનો જીવ બચાવી શકાયો હોત. સંપૂર્ણ અહેવાલ વાંચો…
પાળીયાદ પાંજરાપોળને દોશી પરિવારે ₹1.11 લાખનું દાન આપ્યું:અબોલ પશુઓના ઘાસચારા માટે મુંબઈથી સહાય મળી
પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને મુંબઈ સ્થિત નયનાબેન રાજેશભાઈ દોશી પરિવારે ₹1,11,000નું અનુદાન આપ્યું છે. આ દાન અબોલ પશુઓના ઘાસચારાની વ્યવસ્થા માટે ઉનાળાની ઋતુમાં પ્રાપ્ત થયું છે. નયનાબેન રાજેશભાઈ દોશી પરિવાર સ્વ. દલીચંદભાઈ જેઠાભાઈ ઝોબાળિયા (પાળીયાદવાળા)ના સુપુત્રી છે. આ આર્થિક સહાય ખાસ કરીને ઉનાળામાં પશુઓ માટે ઘાસચારાની અછત નિવારવામાં મદદરૂપ થશે. પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તેમજ સેવાભાવી ટીમે દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. ટ્રસ્ટે જીવદયાના આ કાર્ય બદલ તેમની સરાહના કરી હતી.
પતિએ પત્ની પાસેથી બાળક ઝૂંટવ્યું:181 અભયમ અને 112 ટીમે માતાને પરત અપાવ્યું
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ઘરેલું વિવાદના એક કિસ્સામાં, પતિએ પત્ની પાસેથી ત્રણ માસના બાળકને ઝૂંટવી લીધું હતું. આ મામલે 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 112 જનરક્ષક ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને બાળકને માતાને પરત સોંપ્યું હતું. પીડિત મહિલાએ 181 અભયમ અને 112 જનરક્ષક ટીમને ફોન કરીને જણાવ્યું હતું કે તેનો પતિ બપોરની કાળઝાળ ગરમીમાં ત્રણ માસના બાળકને તેના હાથમાંથી બળજબરીપૂર્વક ખેંચીને ગામમાં ભાગી રહ્યો છે અને તેને મદદની જરૂર છે. માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સેલર ખુશ્બુબેન પટેલ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભાવનાબેન બારૈયા અને પાયલોટ હિતેશભાઈ સોલંકી 112 જનરક્ષક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગ્રામજનો પાસેથી માહિતી મેળવીને ટીમે પતિને શોધી કાઢ્યો હતો. બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, ટીમે પતિ પાસેથી બાળકને છોડાવીને હેમખેમ તેની માતાના ખોળામાં પરત સોંપ્યું હતું. 181 ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે તેમના લગ્નને 15 વર્ષ થયા છે અને તેમને ત્રણ બાળકો છે. પતિ છેલ્લા સાત વર્ષથી પત્નીના ચારિત્ર્ય પર વારંવાર શંકા કરતો હતો. તેણે ઘરમાં સી.સી.ટી.વી. કેમેરા પણ લગાવ્યા હતા જેથી પત્નીની દિનચર્યા પર નજર રાખી શકાય. પતિ નાની નાની બાબતોમાં ટોકીને પત્નીને માનસિક ત્રાસ આપતો હતો. શંકાનું પ્રમાણ એટલું વધી ગયું હતું કે પડોશીઓ સાથે પણ કોઈપણ પ્રકારના વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પતિના આ વર્તનથી ત્રસ્ત થઈને અને આત્મસન્માનને ઠેસ પહોંચતા મહિલાએ તેના પિયર જવાનો નિર્ણય લીધો હતો. આ વાતની જાણ થતા જ પતિ કાળઝાળ ગરમીમાં બાળકને લઈને ગામમાં દોડધામ કરવા લાગ્યો હતો. 181 અને 112 ટીમે મહિલાના પતિને ખોટી શંકાના કારણે તેમના લગ્નજીવનમાં આવતી સમસ્યાઓ અને બાળકના ભવિષ્ય અંગે સમજાવ્યો હતો. પિયર પક્ષ અને સાસરી પક્ષને સાથે રાખીને સમસ્યા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ભવિષ્યમાં આવા ઝઘડા ન થાય તે માટે ગઢડા PBSC સેન્ટર ખાતે લાંબા ગાળાના કાઉન્સેલિંગ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કેસ PBSC ગઢડા ખાતે મોકલી આપવામાં આવ્યો હતો, જ્યાં PBSC ના કાઉન્સેલર ક્રિષ્નાબેન બધેકાએ આગળની કાઉન્સેલિંગ કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર વચ્ચે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભાજપનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ઓઢવ વોર્ડના ઇન્દિરા નગર ખાતે આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આયોજિત ભાજપના અનુસૂચિત જાતિના સંમેલનમાં રસ્તા, ગંદકી અને પાણી જેવા પાયાના પ્રશ્નો મુદ્દે સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વિરોધ એટલો ઉગ્ર હતો કે પૂર્વ સાંસદ ડો. કિરીટ સોલંકી અને ચારેય ઉમેદવારોએ કાર્યક્રમ અધૂરો છોડીને રવાના થવું પડ્યું હતું. બેનરો અને પેમ્પ્લેટ સાથે ઉગ્ર વિરોધ22 એપ્રિલની સાંજે જ્યારે ભાજપના નેતાઓ અનુસૂચિત જાતિના સંમેલન માટે સ્ટેજ પર પહોંચ્યા, ત્યારે સ્થાનિક રહીશોએ હાથમાં પેમ્પ્લેટ અને બેનરો સાથે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. આવાસ યોજનામાં વ્યાપેલી ગંદકી અને ખરાબ રસ્તાઓથી ત્રસ્ત જનતાએ નેતાઓને ઉગ્ર રજૂઆત કરી હતી. પૂર્વ કોર્પોરેટર હિરેન જાદવે લોકોને વિરોધ કરતા અને વીડિયો બનાવતા રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકોએ મચક આપી ન હતી. મહિલાઓએ નેતાઓને સવાલોથી ઘેર્યાસોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્થાનિક મહિલાઓ ભાજપના નેતાઓ પર પ્રશ્નોનો મારો ચલાવી રહી છે. એક મહિલાએ પૂર્વ સાંસદને સંભળાવતા કહ્યું કે, તમે અહીં ડો. બાબાસાહેબને પૂજવા આવ્યા છો, પણ અહીંની ગંદકી કેમ દેખાતી નથી? ભાજપના કાર્યકરોએ વીડિયો ઉતારતા લોકોને રોકવાનો પ્રયાસ કરતા મામલો વધુ બિચક્યો હતો અને કાર્યકરો તથા લોકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. તંત્ર અને પોલીસનું આઈબી (IB) નિષ્ફળધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના મતક્ષેત્રમાં આવતા ઓઢવ વોર્ડમાં થયેલા આ વિરોધની પૂર્વ જાણકારી મેળવવામાં પોલીસ અને આઈબી નિષ્ફળ રહ્યા હતા. જ્યારે સ્ટેજ પરથી નેતાઓએ 'બેસીને વાત કરીશું' તેમ કહી શાંત પાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે લોકોએ રોષે ભરાઈને સ્પષ્ટ કહી દીધું હતું કે, પહેલા આ સમસ્યાઓ જોઈ લો, પછી જ પ્રચાર કરજો. અંતે પરિસ્થિતિ કાબૂ બહાર જતાં તમામ નેતાઓ સંમેલન પડતું મૂકી નીકળી ગયા હતા.
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ 24 કલાકમાં હત્યાનો બીજો બનાવ બન્યો છે. 22 એપ્રિલની મોડી રાત્રે જુહાપુરા વિસ્તારમાં આયશા મસ્જિદની પાછળ 19 વર્ષના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. મૃતક અને આરોપી વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવા બાબતે થયેલી બબાલની અદાવતમાં આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. હુમલામાં મૃતકનો મિત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે, જે હાલ સારવાર હેઠળ છે. વેજલપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી સહિત ત્રણની ધરપકડ કરી છે. શું હતી સમગ્ર ઘટના?જુહાપુરામાં રહેતા મોહમ્મદસાલિક શેખને સ્થાનિક રેહાન પઠાણ સાથે રમઝાન સમયથી તકરાર ચાલતી હતી. બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવા બાબતે અગાઉ ઝઘડો થયો હતો. મોહમ્મદસાલિકે સોશિયલ મીડિયા પર મૂકેલી એક સ્ટોરીની અદાવત રાખી રેહાન પઠાણે તેને વાત કરવા માટે આયશા મસ્જિદ પાસે બોલાવ્યો હતો. મિત્ર બચાવવા વચ્ચે પડ્યો તો તેને પણ છરી મારીમોહમ્મદસાલિક જ્યારે તેના મિત્ર કાશીબ સૈયદ સાથે મસ્જિદ પાસે પહોંચ્યો ત્યારે ત્યાં રેહાન પઠાણ તેના સાગરીતો ફૈઝલ પઠાણ અને ફૈઝાન પઠાણ સાથે હાજર હતો. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી પર પહોંચ્યો હતો. આ દરમિયાન રેહાને ઉશ્કેરાઈને સાલીકના પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. આરોપીઓએ કાશીબને પણ છરી મારી પથ્થરમારો કર્યો હતો. લોકોના ટોળા એકઠા થતા આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. પોલીસે મુખ્ય આરોપી સહિત 3ને દબોચ્યાગંભીર ઈજાઓને કારણે મોહમ્મદસાલિકનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ઘાયલ કાશીબ હાલ સારવાર લઈ રહ્યો છે. વેજલપુર પોલીસે મોડી રાત્રે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને મુખ્ય આરોપી રેહાન પઠાણ, ફૈઝલ પઠાણ તથા ફૈઝાન પઠાણની ધરપકડ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે હત્યા પાછળ માત્ર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જ કારણભૂત છે કે અન્ય કોઈ જૂની અદાવત.
ડો. સેવતી લાલ પટેલે તાજેતરમાં કોંગ્રેસ દ્વારા તેમના ભાષણના ખોટા અર્થઘટન અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 2 ના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. પટેલે અગાઉ કહ્યું હતું કે સનાતન ધર્મના હિન્દુઓ ત્યાં સુધી જાગૃત ગણાશે નહીં જ્યાં સુધી કોંગ્રેસને દેશમાં કોઈ હિન્દુ ઉમેદવાર ન મળે અને તેણે માત્ર અબ્દુલ, ઇસ્માઈલ કે ઇકબાલ જેવા નામો પર નિર્ભર રહેવું પડે. આ નિવેદન બાદ કોંગ્રેસ દ્વારા તેમને મુસ્લિમ વિરોધી ચિતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો તેમણે દાવો કર્યો હતો. આક્ષેપોને ફગાવતા સેવતી લાલ પટેલે સ્પષ્ટ કર્યું કે ભારતીય જનતા પાર્ટી મુસ્લિમ વિરોધી નથી, પરંતુ માત્ર દેશદ્રોહી તત્વોની વિરોધી છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે જો ભાજપ મુસ્લિમ વિરોધી હોત તો અબ્દુલ કલામ જેવા રાષ્ટ્રપ્રેમી વ્યક્તિને રાષ્ટ્રપતિ ન બનાવ્યા હોત. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ હિન્દુઓને આતંકવાદી અને હિંસક કહીને બદનામ કરવાનું તેમજ મુસ્લિમોનું તુષ્ટિકરણ કરવાનું કામ કરે છે. ભાજપની નીતિ 'સબકા સાથ, સબકા વિકાસ' ની છે અને પક્ષ કોઈની ચાપલૂસી કે અવગણનામાં માનતો નથી. કોંગ્રેસ દ્વારા મુસ્લિમ ડોક્ટર સાથેની વ્યાપારી ભાગીદારી અંગે થયેલા આક્ષેપો પર પટેલે ડો. હમીદ મન્સૂરીના સેવાકીય કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ડો. મન્સૂરીએ શિશુમંદિરમાં 2.5 લાખ રૂપિયા અને અયોધ્યા રામમંદિર નિર્માણ માટે RSS ના ફાળામાં પણ 2.5 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. આ ઉપરાંત, ડો. મન્સૂરીએ ગૌશાળામાં 1 લાખ રૂપિયા અને મૃતદેહોને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા માટે મા-પરિવાર સંસ્થાને 10 લાખ રૂપિયાનું દાન આપેલું છે. ડો. મન્સૂરી રાષ્ટ્રવાદી મુસલમાન હોવાથી તેમની સાથે મિત્રતા અને ભાગીદારી હોવાનું પટેલે સ્પષ્ટ કર્યું હતું.
પાલનપુર નગરપાલિકા વિસ્તારનો વોર્ડ નંબર-2 મહત્વનો વોર્ડ ગણાય છે. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે કુલ 6810 મતદારો ધરાવતા આ વોર્ડના મતદારોનો મિજાજ જાણવા દિવ્ય ભાસ્કરની ટીમ આ વોર્ડમાં પહોંચી હતી. જ્યા મતદારોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. વોર્ડ નંબર 2ના લક્ષ્મી નગર, આસોપાલવ સોસાયટી સહિતના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. તો સાથે સાથે આ વોર્ડમાં આવેલું પાલનપુરનું આન બાન સમાન માન સરોવરની કાયાપલટ થયેલી જોવા મળી છે. કેટલાક વિસ્તારમાં વિકાસના સારા એવા કામો થયા છે જેથી મતદારોમાં ખુશી જોવા મળી હતી. જોકે, મોટાભાગના વિસ્તારોમાં વિકાસના કામો થયા નથી. ‘ગંદકીના લીધે છોકરાઓ બીમાર થાય છે’સુરેખાબેન ઠાકરે જણાવ્યું કે, કચરાના ઢગલા થાય તો પણ કોઈ કચરો લેવા આવતા નથી. કચરો પડ્યો હોય, જેથી ગંદકીના લીધે છોકરાઓ બીમાર થાય. ગટરની પાણીની પાઇપલાઇનો તૂટી જાય તો પણ સરખી કરવા આવતા નથી. અમારી ભાગ્યોદય સોસાયટી આગળ રોડને ખોડી નાખ્યો છે. સવારમાં પાણી પણ ચાલ્યું જાય છે, તો તકલીફ કેટલી? અમારી સોસાયટીમાં કોઈએ વોટ માટે આવવું નહીં. ‘લાઈટ-પાણીની કોઈ સુવિધા નથી’સ્થાનિક ગણેશ પ્રજાપતિએ જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષથી કોર્પોરેટરો અમારો કોઈ ફોન ઉપાડતા નથી. ગટરની કોઈ સુવિધા નથી, લાઈટ-પાણીની સુવિધા નથી. જ્યારે પણ અમે કોઈ પણ કામનું કહીએ છીએ ત્યારે બસ 'માણસ મોકલીએ છીએ' એમ જ કહે છે. છેલ્લા 10 વર્ષમાં ત્રણ-ત્રણ વાર રોડ બન્યો છે, એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે કે એની કોઈ હદ નથી. જે માણસોને ટિકિટો આપવાની હોય એવાને નથી આપતા, ગુંડા તત્વોને ટિકિટો આપે છે અને પાછલા બારણેથી પૈસા લઈને ટિકિટો આપે છે આ ભાજપનો મોટો ભ્રષ્ટાચાર છે. ‘વારંવાર રજૂઆતો કરી છતાં કોઈ કામ થયું નથી’સ્થાનિક હેમંતભાઈએ જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં કોઈ પણ પ્રકારનું કામ થયું નથી. આજે રસ્તાઓની હાલત જુઓ. અમે વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરી છે છતાં કોઈ જ કામ થયું નથી. મનીષ ઠાકરે જણાવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષથી કોઈ કાર્ય જોવા મળ્યા નથી, જેવા કે સાધારણ કામ પણ જોવા મળ્યા નથી કે જે બધાથી પ્રસન્ન થઈ જાય. તો આ બોર્ડ મારવાની જરૂર ના પડે અને ચૂંટણીનો વિરોધ કરવાની જરૂર ના પડે. ઉમેદવારો પાસે અમે જવાબ માગીશું કે, રોડનું કામ, કચરાનું કામ પાણીની સમસ્યા એ તમામનું સોલ્યુશન કેમ નથી લાવ્યા તમે? હિરેન પ્રજાપતિએ જણાવ્યું કે, વોટ લેવાના ટાઈમે નેતાઓ દેખાય છે, એના પછી કોઈ દેખાતા નથી. રોડ આખો ખોદી નાખ્યો છે. રોડ પર ખાડાઓ છે જેથી વૃદ્ધો ચાલતા ચાલતા પડી જાય છે. એક્ટિવા લઈને જતી લેડીઝો પડી જાય છે. આ વખતે સોસાયટીએ નક્કી કર્યું છે કે કોઈને વોટ આપવો નથી, ચૂંટણીનો અમે બહિષ્કાર કરીએ છીએ.
રાજ્યમાં નવી બનેલી 15 મહાનગરપાલિકાઓમાં અત્યારે સત્તાના સમીકરણો તેજ બન્યા છે. એપ્રિલ મહિનાના આકરા તાપની વચ્ચે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પણ ચૂંટણીનો પારો ગરમાયો છે. ત્યારે દિવ્યભાસ્કર ડિજિટલની ટીમ સુરેન્દ્રનગરના વોર્ડ નં 3માં પહોંચી હતી. જ્યાં મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો હતો. 15 હજારથી વધુ મતદારો ધરાવતા આ વોર્ડમાં ક્યાંક વિકાસની ચમક જોવા મળી છે તો ક્યાંક પાયાની સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. આ વોર્ડ નં 3માં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે, ત્યારે આ વિસ્તારના મતદારોએ બાળકો માટે લાઈબ્રેરી, યુવાનો માટે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની તેમજ આરોગ્ય ભવન અને ઓડિટરિયમની મહાનગર પાલિકા પાસે અપેક્ષા રાખી છે. ‘પાણીનો કોઈ ફિક્સ ટાઈમ જ નથી’સ્થાનિક સુનિલ ભટ્ટે જણાવ્યું હતું કે, હું આ ત્રણ નંબર વોર્ડમાં છેલ્લા 35 વર્ષથી રહુ છું. આ 35 વર્ષની અંદર આ વોર્ડમાં પાયાની માળખાગત સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળે છે. પાણીનો કોઈ ફિક્સ ટાઈમ જ નથી, સવારમાં સાડા છએ પણ આવે અને રાત્રે 11 વાગ્યે પણ આવે. ‘ઘણી ફરિયાદો કરી પણ કોઈ દિવસ નિકાલ થયો નથી’વધુમાં જણાવ્યું કે, મેઈન રોડ ઉપર મોટી હોસ્પિટલ છે, અહીં સ્કૂલ પણ આવેલી છે. એ રોડ ઉપરથી પસાર થાય તો ધૂળો અને રજકણો ઉડે છે, એનાથી માણસોના સ્વાસ્થ્યની સાથે પણ ચેડા થયા છે. ઘરે જઈને નહાવું પડે છે. વર્ષોથી કેટલી બધી ગ્રાન્ટો આવે છે, પણ કોઈ ગ્રાન્ટ વ્યવસ્થિત રીતે વપરાતી હોય અને એના આવા બધા પ્રશ્નો રોડ, લાઈટ, રસ્તા અને ગટરના પ્રશ્નો હલ થયા હોય એવુ મેં જોયું નથી. અમે યોગ્ય જગ્યાએ ઘણી બધી ફરિયાદો કરી પણ એ ફરિયાદોના કોઈ દિવસ ક્યારેય નિકાલ થતા હોતા નથી. ‘ટીબી હોસ્પિટલથી કરમણપરા સુધીનો રોડ બનાવવામાં આવે’આ અંગે વોર્ડ નં -3ના ધર્મેન્દ્રસિંહ જાલિમસિંહ ટાંકે જણાવ્યું હતું કે, હું આ વિસ્તારમાં છેલ્લા 45 વર્ષથી રહુ છું, અમારી માંગણી છે કે, આ ટીબી હોસ્પિટલથી કરમણપરા સુધીનો રોડ બનાવવાનો બાકી રહી ગયો છે, જે અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં કામ થયું નથી. વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. આ વોર્ડમાં પીવાનું પાણી રેગ્યુલર આવવું જોઈએ. ‘અમારા વોર્ડમાં વિકાસના ઘણા કામો થયા છે’અશોક મગારાએ જણાવ્યું કે, આ વિસ્તારમાં જે પૂર્વ કોર્પોરેટર હતા, એમણે ઘણા બધા વિકાસના કાર્યો કરેલા જ છે. હાલ અમારી માંગ એવી છે કે, યુવા વર્ગ આ વોર્ડમાં રહે છે, તો એમના માટે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બને. અમારા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ નથી, એની પણ અમારી મહાનગરપાલિકા પાસે માંગણી છે. રોડ, રસ્તા, ગટર, પાણી અને સાફસફાઈમાં પૂરતું ધ્યાન આપે એવી અમારા વોર્ડ વતી વિનંતી કરું છું. મુકેશ બારોટે જણાવ્યું હતું કે, હું સુરેન્દ્રનગર વોર્ડ નં -3માં છેલ્લા 15 વર્ષથી રહુ છું. આ 15 વર્ષની અંદર અગાઉ જયારે મહાનગરપાલિકા નહોતી બની ત્યારે નગરપાલિકા હતી, ત્યારથી અમારો જે રસ્તાનો પ્રોબ્લેમ હતો, એ અત્યારે દૂર થઇ ગયો છે. અમારા નવા જંક્શન રોડ ઉપર જનયુગ પાસે સહયોગ પાર્કની અંદર બગીચો પણ છે. અત્યારે વોર્ડ નં 3ની અંદર લાઈબ્રેરી તેમજ આરોગ્ય ભવન નથી, તે માટેની અમારા વોર્ડ નં 3ના તમામ નાગરિકોની માંગ છે. અમારા બાળકોને વાંચવા માટે લાઈબ્રેરી અહીંયાથી ખુબ દૂર જવું પડે છે. શૈલેષ ઘોપાળે જણાવ્યું હતું કે, અમારા ત્રણ નંબર વોર્ડમાં પાલિકાએ ગાર્ડન બનાવ્યો છે, રોડ અને રસ્તા પણ ખુબ સારા છે. અમારા વિસ્તારમાં જે જંક્શન રોડ છે, એ રોડને પણ આઇકોનીક બનાવવામાં આવી રહ્યો છે, આમ તો એકંદરે ખુબ જ સારી વ્યવસ્થા છે. ‘અહીંયા જે કોઈ ચૂંટાય એ હંમેશા લોકોની મુલાકાતો લે’વોર્ડ નં-3ના હાઈસ્કૂલના નિવૃત પ્રિન્સિપાલ ડો. નરેન્દ્ર રાવલે જણાવ્યું હતું કે, આજુબાજુમા નાના નાના કોમન પ્લોટ હોય ત્યાં બગીચા થાય, ઓડિટરિયમ બનાવવામાં આવે, જેથી નાના છોકરાઓને રમવા માટે અને મોટા વડીલોને ચાલવા માટેની વ્યવસ્થા થાય. આ ઉપરાંત નિયમિત રીતે લાઈટની વ્યવસ્થા કરવામાં આવે. સામાન્ય રીતે અહીંયા જે કોઈ ચૂંટાય એ હંમેશા લોકોની મુલાકાત લે એ વધારે સારામાં સારુ છે. રાજકીય સ્થિતિ: ભાજપના ગઢમાં 'આપ'ની એન્ટ્રીસુરેન્દ્રનગર જિલ્લામાં અત્યારે ભાજપનું એકહથ્થુ શાસન છે. સાંસદ, 5 વિધાનસભા, જિલ્લા-તાલુકા પંચાયત અને તમામ નગરપાલિકાઓમાં ભગવો લહેરાઈ રહ્યો છે. અગાઉ અહીં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી એ પણ મેદાનમાં ઝંપલાવ્યું છે. મતદારોનું ગણિત: નવા મતદારો કિંગમેકર બનશેજિલ્લાની સ્થિતિ: કુલ 13,66,275 મતદારોમાંથી 21,415 મતદારો ઘટ્યા છે, જેની સામે 21,316 નવા મતદારો ઉમેરાયા છે. ભાજપ માટે આ નવા મતદારોને રીઝવવા મોટો પડકાર છે.વોર્ડ નં. 3 ની સ્થિતિ: 2021માં અહીં 18,093 મતદારો હતા, જે ઘટીને હવે 15,069 થયા છે (3,024 મતોનો ઘટાડો). વોર્ડ નં. 3: જ્ઞાતિગત સમીકરણ અને અનામતકુલ વસ્તી:21,382જ્ઞાતિ મુજબ વસ્તીOBC-8,266SC-177ST-54બેઠકોનું માળખું:બેઠક-1: OBC સ્ત્રી અનામતબેઠક-2: સ્ત્રી અનામતબેઠક-3: સામાન્ય વર્ગબેઠક-4: સામાન્ય વર્ગ જનતાના મુખ્ય પ્રશ્નો અને માંગણીપાણીની સમસ્યા:પીવાના પાણીનો કોઈ ચોક્કસ સમય નથી, અનિયમિતતાથી રહીશો પરેશાન.રોડ-રસ્તા:ટીબી હોસ્પિટલથી કરમણપરાનો રસ્તો અધૂરો, ઉડતી ધૂળને કારણે સ્વાસ્થ્યના પ્રશ્નો.નવી સુવિધાઓ: વોર્ડમાં લાઈબ્રેરી, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, કોમ્યુનિટી હોલ અને આરોગ્ય ભવનની તાતી જરૂરિયાત.વિકાસની મિશ્ર અસર:કેટલાક વિસ્તારોમાં નવા બગીચા અને આઈકોનિક રોડ બનતા લોકોમાં સંતોષ પણ જોવા મળ્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટાણે ભાવનગરમાં ભાજપનું શક્તિ પ્રદર્શન અને વિકાસ ગાથાનું વર્ણન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાવનગરની ટૂંકી મુલાકાતે પહોંચ્યા હતા, પ્રબુદ્ધ સંમેલનમાં 2047 સુધીનો વિકાસનો રોડમેપ રજૂ કર્યો, બોટાદ ખાતે યોજાયેલા કાર્યક્રમ બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાવનગર ખાતે યોજાયેલા પ્રબુદ્ધ સંમેલનમાં હાજરી આપી હતી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના અટલ ઓડિટોરિયમમાં યોજાયેલી આ સભામાં રાજ્યના વિકાસને લઈને મહત્વપૂર્ણ દિશા દર્શાવવામાં આવી હતી. ભાવનગર શહેરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, શહેરના વિવિધ વેપારી એસોસિએશન અને શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત આયોજન હેઠળ યોજાયું હતું, આ સાથે મોટી સંખ્યામાં વેપારીઓ અને શૈક્ષણિક ક્ષેત્રના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહ્યા હતા, લોકશાહીના પાવન પર્વ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રાજ્યભરમાં યોજાઈ રહી છે, ત્યારે વિચારોના સકારાત્મક આદાનપ્રદાન અને વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવવા માટે આજે આ પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું, આ પ્રસંગે ભાજપને એક સતત કાર્યશીલ અને વિકાસમુખી પાર્ટી તરીકે રજૂ કરવામાં આવી હતી. રાજ્યમાં પાણી, વીજળી અને માર્ગ વ્યવસ્થા જેવા મૂળભૂત સુવિધાઓમાં નોંધપાત્ર સુધારા થયા હોવાનું જણાવી કહ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સફળ આયોજનથી રાજ્યમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓએ રોકાણ કર્યું છે, જેના પરિણામે રોજગારીના નવા દ્વાર ખુલ્યા છે આગામી 2047 સુધી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત અગ્રણિય ભૂમિકા ભજવશે, તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો. વિકસિત ગુજરાત માટેનો માર્ગ-નકશો તૈયાર થઈ ગયો છે અને રાજ્યના વિવિધ ઝોનમાં તેનું અમલીકરણ શરૂ થઈ ચૂક્યું છે, મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં “વિકસિત ભારત” સાથે “વિકસિત ગુજરાત” માટે 2047 સુધીનો રોડમૅપ તૈયાર હોવાનું જણાવ્યું હતું. આ રોડમૅપને 6 મહત્વપૂર્ણ સેક્ટરમાં વહેંચી રાજ્યના સર્વાંગી વિકાસ માટે આયોજન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “સૌનો સાથ, સૌનો વિકાસ”ના સૂત્ર સાથે ગુજરાત વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે, મુખ્યમંત્રીએ કહ્યું કે છેલ્લા કેટલાય ચૂંટણી દરમિયાન રાજ્યમાં વિકાસ કાર્યો સ્પષ્ટ રીતે જોવા મળ્યા છે, ખાસ કરીને સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં ભારતને આગળ લાવવા માટે અનેક પ્રયત્નો થયા, પરંતુ વૈશ્વિક સ્તરે વિશ્વાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વ પર મૂકાયો હોવાનું તેમણે ઉમેર્યું હતું, ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોવાને કારણે મુખ્યમંત્રીએ રાત્રે 10 વાગ્યે પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું. છેલ્લા ત્રણ દાયકામાં જનતાએ ભાજપ પર મુકેલો વિશ્વાસ વિકાસના કાર્યો દ્વારા સાબિત થયો છે, અને રાજ્યમાં નવા ઉદ્યોગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દ્વારા સમૃદ્ધિનો માર્ગ વધુ મજબૂત બન્યો છે, આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિવિધ સંસ્થાઓ દ્વારા તેમને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું, આ સંમેલનમાં કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી, કેન્દ્રિય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય સેજલબેન, શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.
જીવલેણ હુમલો:તલોદના તાજપુરની સીમમાં એસટીના મિકેનિકલ હેલ્પર પર જીવલેણ હુમલો
તલોદના તાજપુરની સીમમાં જૂની અદાવતને લીધે નોકરી પરથી પરત ફરી રહેલા એસટીના મિકેનિકલ હેલ્પર પર બે શખ્સોએ લોખંડના કડા વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેને માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા. તલોદના આંત્રોલી દોલજી વાસમાં રહેતા 21 વર્ષીય યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા તલોદ એસટી વર્કશોપમાં મિકેનિકલ હેલ્પર તરીકે ફરજ બજાવે છે. ગત 21 એપ્રિલના રોજ મોડી રાત્રે દોઢ વાગ્યાના સુમારે સાથી કર્મચારી પવન સોલંકી સાથે બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તાજપુર ગામની સીમમાં જીઓ પેટ્રોલપંપ સામે આવેલી એક ચાની હોટલ પર રોકાયા હતા. યુવરાજસિંહ ચા પીવા ઉભા હતા ત્યારે પાછળથી આંત્રોલી પુંજાજી વાસનો શૈલેષસિંહ બાપુસિંહ પરમાર અને તલોદનો જયેશ ઝાલા ત્યાં ધસી આવ્યા હતા. અગાઉ થયેલા મનદુઃખની વેરભાવના રાખીને આ બંને શખ્સોએ યુવરાજસિંહ પર હુમલો કર્યો હતો. શૈલેષસિંહ પરમારે પોતાના હાથમાં પહેરેલા લોખંડના કડા વડે યુવરાજસિંહના માથાના પાછળના ભાગે, કપાળ પર અને જમણા હાથની આંગળી પર ફટકા માર્યા હતા. હુમલાને કારણે યુવરાજસિંહ લોહીલુહાણ થઈ ગયા હતા. ઝપાઝપી દરમિયાન યુવકની સોનાની ચેઈન અને રોકડ ભરેલું પાકીટ પણ સ્થળ પર પડી ગયું હતું. હુમલો કર્યા બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સાબરકાંઠા તા.પં. ચૂંટણી:વડાલીના બડોલમાં સૌથી ઓછા મતદારો, ઝહીરાબાદમાં સૌથી વધુ
સાબરકાંઠા જિલ્લાની 8 તાલુકા પંચાયતોની ચૂંટણીના જંગમાં સ્ત્રી મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવવા જઈ રહી છે. જિલ્લાના કુલ 170 વોર્ડમાં 444826 મહિલા મતદારો નોંધાયા છે. વડાલીના બડોલમાં સૌથી ઓછી મહિલા મતદારો નોંધાઈ છે. હિંમતનગર તાલુકાની 28-ઝહીરાબાદ બેઠક સમગ્ર જિલ્લામાં સૌથી મોટી બેઠક છે. અહીં કુલ 10184 મતદારો છે. આ એકમાત્ર એવી બેઠક છે જ્યાં મતદારોનો આંકડો 10 હજારને પાર કરી ગયો છે. તો વડાલી તાલુકાની 2-બડોલ બેઠક સમગ્ર જિલ્લામાં સૌથી નાની બેઠક છે. અહીં કુલ માત્ર 2772 મતદારો છે. એટલે કે, ઝહીરાબાદ અને બડોલ વચ્ચે આશરે 7400 મતદારોનો તફાવત છે. ઝહીરાબાદ બેઠકમાં સૌથી વધુ 5036 મહિલા મતદારો છે. ત્યારબાદ ઈડરના ગોરલમાં 3660 અને હિંમતનગરના બેરણામાં 3638 બેઠક આવે છે. વડાલીની બડોલ બેઠક પર જિલ્લામાં સૌથી ઓછી 1344 મહિલા મતદારો છે. આ ઉપરાંત પોશીના તાલુકાની દેમતી-1 બેઠકમાં માત્ર 1350 મહિલા મતદારો નોંધાવા પામ્યા હતા. તાલુકા વાઇઝ બેઠકોની વિગત હિંમતનગર (28 બેઠક) ઇડર (28 બેઠક) ખેડબ્રહ્મા (20 બેઠક) પોશીના (20 બેઠક) પ્રાંતિજ (20 બેઠક) તલોદ (20 બેઠક) વિજયનગર (18 બેઠક) વડાલી (16 બેઠક)
ભાસ્કર એનાલિસિસ:ઉનાળાની જરૂરિયાતને ધ્યાને રાખી ઉ.ગુ.ના 11 ડેમમાંથી અપાતું ખેતીનું પાણી બંધ કરાયું
ઉત્તર ગુજરાતના 15 ડેમમાં ચોમાસું પૂરું થયું ત્યારે 91.83% પાણીનો જથ્થો સંગ્રહિત થયો હતો. તેની સામે 91.19% પાણીનો જથ્થો વપરાશ લાયક રહ્યો હતો. નવેમ્બર-2025 થી અત્યાર સુધીમાં 40.46 ટકા પાણીનો જથ્થો વપરાશમાં લેવાઇ ચૂક્યો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં હાલ 51.37% પાણીનો જથ્થો સંગ્રહિત છે, જે પૈકી 47.68% પાણીનો જથ્થો હજુ વપરાશમાં લઇ શકાય તેમ હોઇ ઉનાળો આરામથી નીકળી જશે. છેલ્લા 7 વર્ષમાં 22 એપ્રિલની સ્થિતિએ સૌથી વધુ જળસંગ્રહ આ વખતે રહ્યું છે. ઉનાળાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી 15 પૈકી 11 ડેમનું પાણી રિઝર્વ કરાયું છે. હાલ દાંતીવાડા, મુક્તેશ્વર, વાત્રક અને ગુહાઇ ડેમમાંથી હજુ પણ સિંચાઇ માટે પાણી અપાઇ રહ્યું છે. બીજી તરફ, 15 પૈકી 10 ડેમમાં હજુ પણ 50 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. સાબરકાંઠાના જવાનપુરા ડેમમાં સૌથી વધુ 93.60 ટકા પાણી છે, જ્યારે બનાસકાંઠાના સીપુ ડેમમાં સૌથી ઓછો 7.79 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં જળસંગ્રહની સ્થિતિ છેલ્લા 7 વર્ષમાં સૌથી સારી સ્થિતિ વર્ષ કુલ જળસંગ્રહ વપરાશનો જથ્થો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:સાબરકાંઠા: 48 અપક્ષો વચ્ચે 21 ચૂંટણી ચિહ્નોની ફાળવણી
સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ખેંચવાની મુદ્દત પૂર્ણ થતાંની સાથે જ વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી ચિહ્નોની ફાળવણી કરી દેવામાં આવી છે. આ વખતે ચૂંટણીમાં રાજકીય પક્ષોના સત્તાવાર ઉમેદવારો સામે મેદાનમાં ઉતરેલા 48 જેટલા અપક્ષ ઉમેદવારોએ રસાકસી વધારી દીધી છે. ચૂંટણી પંચ દ્વારા આ અપક્ષોને કુલ 21 જેટલા વિવિધ રોજીંદા વપરાશના ચિહ્નો ફાળવવામાં આવ્યા છે, જેમાં ટેબલ અને કાચનો ગ્લાસ ઉમેદવારોની પસંદ બન્યા હોય તેમ જણાય છે. જિલ્લામાં ચૂંટણી લડી રહેલા અપક્ષોમાં ટેબલ ચિહ્ન સૌથી વધુ લોકપ્રિય સાબિત થયું છે. કુલ 7 ઉમેદવારોને ટેબલનું ચિહ્ન ફાળવવામાં આવ્યું છે. જ્યારે 6 ઉમેદવારો કાચના ગ્લાસના નિશાન સાથે અને 5 ઉમેદવારો કડાઈના નિશાન સાથે મતદારો પાસે જશે. આ સિવાય અન્ય ઉમેદવારોને ટીલર, દૂરબીન, પેટ્રોલપંપ, સીતાર, અલમારી, માઇક, ઝૂલો, ડીશ એન્ટેના,મીકસી, એરકંડીશનર, પટ્ટો, રોબટ, ઇસ્ત્રી, ભીંડા, દ્વાક્ષ, માચીસ બોકસ, પાણીની ટાંકી, ક્રેન જેવા ચિહ્નો ફાળવવામાં આવ્યા છે. ઇડર પાલિકામાં સૌથી વધુ 21 અપક્ષસાબરકાંઠાના રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આટલી મોટી સંખ્યામાં અપક્ષો મેદાનમાં હોવાથી મુખ્ય પક્ષોના મતોમાં ગાબડું પડી શકે છે. જિલ્લા પંચાયતમાં 04, આઠ તાલુકા પંચાયતમાં 20, ઇડર પાલિકામાં સૌથી વધુ 21 હિંમતનગર પાલિકામાં 2 અને વડાલી પાલિકામાં 1 મળી કુલ 48 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે ખાસ કરીને ઇડર અને પ્રાંતિજમાં અપક્ષોનું જોર વધુ જોવા મળી રહ્યું છે. પક્ષના મેન્ડેટ ન મળતાં નારાજ થયેલા ભાજપના10 કાર્યકરોએ બળવો કરીને અપક્ષ તરીકે ઝંપલાવ્યું છે.
હિંમતનગર નેશલ હાઈવે પર અકસ્માત:બાઇક પાછળ બાઈક અથડાતાં વકીલનું મોત
હિંમતનગરમાં નેશનલ હાઈવે પર પૂરઝડપે આવતાં બાઇક ચાલકે આગળ જઈ રહેલા બાઈકને પાછળથી ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં વકીલાતનો વ્યવસાય કરતાં 58 વર્ષીય પ્રૌઢનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ આરોપી પોલીસને જાણ કર્યા વગર નાસી છૂટ્યો હતો, જેની સામે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. દેસાસણના વતની અને વ્યવસાયે વકીલ એવા પ્રકાશકુમાર સોમાભાઈ પટેલ ગત તા.19-04-2026ના રોજ સવારે 7 વાગ્યાના અરસામાં પોતાની બાઈક નં જીજે-09-સીજી-8459 લઈને હિંમતનગર ઓફિસે આવવા નીકળ્યા હતા. તેઓ જ્યારે નેશનલ હાઈવે પર મેડિસ્ટાર હોસ્પિટલથી આગળ ધનલક્ષ્મી સીડ્સ પાસે પહોંચ્યા, ત્યારે પાછળથી આવતાં બાઈક નં આરજે-12-પીએસ-6662ના ચાલકે તેમના બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં પ્રકાશભાઈને માથા તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક 108 મારફતે સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મૃતકના પુત્ર સ્વપ્નીલભાઈ પટેલે એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉનાળાની જમાવટ વચ્ચે પાટણના ફ્રૂટ માર્કેટમાં આ વર્ષે કેરીની મીઠાશ મોંઘી બની છે.કમોસમી વરસાદ અને પ્રતિકૂળ હવામાનને કારણે કેરીના ઉત્પાદન પર વ્યાપક અસર પડી છે.જેના પગલે પાટણના બજારમાં કેરીની આવકમાં 75 ટકા ઘટાડો થતા કેરીના ભાવમાં કિલોએ 20 રૂપિયા વધારો આવ્યો છે. પાટણના વેપારી દીપેશ રાવળે જણાવ્યુ હતું કે અગાઉ આ સમયે બજારમાં દૈનિક 4 ગાડી કેરીની આવક થતી હતી, જે હવે ઘટીને માત્ર 1 ગાડીએ પહોંચી ગઈ છે.એક તરફ લગ્નગાળો હોવાથી લગ્નપ્રસંગોમાં રસની માંગ વધુ છે.પરંતુ બીજી તરફ બજારમાં માલનો પુરવઠો પૂરતો ન હોવાથી અછત સર્જાઈ છે. વરસાદી ઝાપટાંના કારણે આંબા પરથી મોર ખરી પડતા ઉત્પાદનને મોટું નુકસાન થયું છે.ખાસ કરીને ઝાપટાના કારણે આંબા ઉપરની નાની કાચી કેરી પુષ્કળ પ્રમાણમાં પડી ગઈ હતી.પુરવઠો ઘટતા કેરીના ભાવમાં સરેરાશ 20 જેટલો વધારો જોવા મળી રહ્યો છે. જોકે ગુણવત્તાની દ્રષ્ટિએ કેરી ખાવામાં સારી છે.પરંતુ ઓછી આવકના કારણે સામાન્ય ગ્રાહકો માટે કેરીનો રાજા અત્યારે મોંઘો સાબિત થઈ રહ્યો છે. આવનારા દિવસોમાં જો આવક વધશે તો જ ભાવમાં રાહત મળવાની શક્યતા છે.
ઘેટા-બકરાંનાં મોત:સમીના સિંગોતરીયામાં એરંડાના પાન ખાતાં 35 ઘેટા-બકરાંનાં મોત નીપજ્યાં
સમી તાલુકાના સિંગોતરીયા ગામના સીમ વિસ્તારમાં એરંડાના ખેતરમાં ચરવા ગયેલા રબારી સમાજના પશુપાલકના 35 જેટલા ઘેટા-બકરાના એકસાથે મોત થયા હતા. સમી તાલુકાના સિંગોતરીયા ગામના ઠાકોર મહાદેવભાઇ ચુડાભાઇના ખેતરમાંથી એરંડાનો પાક લઈ લીધા બાદ, તેમણે માલધારી અમરાભાઇ રૂગનાથભાઈને પરવાનગી આપી હતી. બુધવારે સવારે અમરાભાઇ અંદાજે 250 જેટલા ઘેટા-બકરા લઈ ચરાવવા માટે ગયા હતા. ખેતરમાં એરંડાના કુણા પાન ફૂટેલા હોય, ઘેટાઓએ વધુ પ્રમાણમાં આ પાન ખાઈ લેતા તેમની તબિયત લથડી હતી. 50થી વધુ પશુઓ બીમાર ઘટનામાં 35 ઘેટા-બકરાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 50થી વધુ પશુઓ ગંભીર રીતે બીમાર હાલતમાં જોવા મળ્યા હતા. અચાનક પશુઓના મોતથી હડકંપ મચી ગયો હતો. તાત્કાલિક સ્થાનિક પશુ ડોક્ટરને જાણ કરવામાં આવતા તેઓએ સ્થળ પર પહોંચી અન્ય બીમાર પશુઓની પ્રાથમિક સારવાર શરૂ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ગામના તલાટી સહિતના સરકારી અધિકારીઓ અને ગામના આગેવાનોએ સ્થળની મુલાકાત લીધી હતી.
ભાસ્કર એનાલિસિસ:સિદ્ધપુર પાલિકાની ચૂંટણી: અપક્ષો ભાજપની પેનલ તોડી શકે છે
સિદ્ધપુર નગરપાલિકાની 36 બેઠકોના જંગમાં ભાજપે 3 બેઠકો બિનહરીફ જીતીને પ્રારંભિક સરસાઈ મેળવી લીધી છે. જોકે, બાકીની 33 બેઠકો પર 81 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ છે. ચૂંટણીમાં અપક્ષો ભાજપની પેનલ તોડી શકે છે. આ વખતે નવાઈની વાત એ છે કે કોંગ્રેસ (14 ઉમેદવાર) કરતાં અપક્ષ ઉમેદવારોની સંખ્યા (34) વધુ છે, જે ભાજપ અને કોંગ્રેસ બંને માટે ચિંતાનો વિષય છે. વોર્ડ નંબર 3, 6 અને 9 માં પરંપરાગત ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર છે, જ્યારે બાકીના 6 વોર્ડમાં અપક્ષોએ પોતાની તાકાત બતાવી ચૂંટણીને પ્રવાહી બનાવી દીધી છે. જેમાં મુખ્યત્વે પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખ બંને સામે સામાન્ય મહિલાઓ કદાવર નેતાના નેતૃત્વમાં મેદાનમાં ઉતરી હોય મોટા માથાઓની પ્રતિષ્ઠા દાવ પર લાગતા અહીં રસાકસી ચરમસીમાએ પહોચતા જંગ જામ્યો છે. પાલિકાની ચૂંટણી રસાકસી ભરી બની છે. એક મહિલા બે વોર્ડમાં અપક્ષ લડી રહી છેસિધ્ધપુરમાં અપક્ષ મહિલા ઉમેદવાર ડિમ્પલબેન હિતેશકુમાર હરવાણી એ બે વોર્ડમાં અપક્ષ ઉમેદવારી નોંધાઈ છે. જેમાં વોર્ડ નંબર ત્રણમાં અપક્ષ તેમજ વોર્ડ નંબર ચારમાં અપક્ષ તરીકે ચૂંટણી લડી રહી છે. બંને બોર્ડમાં સામાન્ય સ્ત્રી બેઠક ઉપરથી ઉમેદવારી કરી છે. ભાજપ મજબૂત, પણ ‘આંતરિક અસંતોષ’ અને ‘અપક્ષો’ પેનલ તોડે તેવી પૂરી શક્યતા વિશ્લેષકના મતે ભાજપ મજબૂત સંગઠન સાથે મેદાનમાં હોય 3 બિનહરીફ બેઠકોના કારણે સરસાઈમાં છે. પરંતુ ટિકિટ વહેચણીમાં ઊભો થયેલો ક્યાંક આંતરિક અસંતોષ અને ક્યાંક શક્તિશાળી અપક્ષો તેની પેનલ તોડી શકે છે. સામે કોંગ્રેસ માત્ર મર્યાદિત ગઢ (વોર્ડ 6, 9) સાચવવા મથશે. જ્યારે અપક્ષના નવા ચહેરાઓ દ્વારા પરિવર્તન ઈચ્છતા મતો ખેંચી નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. આમ પાલિકામાં 36 બેઠકોના પરિણામમાં મિક્સ પ્રતિનિધિ મંડળની શક્યતા નકારી શકાય નહીં. પરંતુ બહુમતી બેઠકો ભાજપની આવી શકે છે. એવા હાલના સમીકરણો જોતા લાગે છે.
ખેતીમાં વધતા જતા રાસાયણિક ખાતરોનો ખર્ચ ઘટાડવા અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખવાના ઉમદા હેતુ સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પાટણ દ્વારા સિદ્ધપુર તાલુકાના ખળી ગામે વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં ખાતરના સંતુલિત ઉપયોગ વિષય પર યોજાયેલા આ કાર્યક્રમમાં ગામના 39 જેટલા જાગૃત ખેડૂત ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. ઉપેશકુમારે ખેડૂતોને પાકની જરૂરિયાત અને હવામાન મુજબ યોગ્ય માત્રામાં ખાતર આપવાની સલાહ આપી હતી. તેમણે ખાસ કરીને મેક્રો અને માઇક્રો પોષક તત્વોના સંતુલન પર ભાર મૂક્યો હતો.આ પ્રસંગે વિષય નિષ્ણાત એસ.એસ. દરજીએ વિગતે જણાવ્યું હતું કે, સંતુલિત ખાતરના ઉપયોગથી ખેતી ખર્ચમાં મોટો ઘટાડો થાય છે અને પાકની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે. તાલીમ દરમિયાન ભારત સરકારની સોઇલ હેલ્થ કાર્ડ યોજના, નીમ-કોટેડ યુરિયા અને આધુનિક ટેકનોલોજી સમાન નેનો ખાતરના ઉપયોગ અંગે પણ ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પ્રશ્નોત્તરી બાદ ખેડૂતોના મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવી તાલીમનું સફળ સમાપન કરાયું હતું.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:બાઈકની ટક્કરથી પતિનું મોત પત્નીને ઈજા પહોંચી
પાટણ તાલુકાના કુણઘેરથી સબોસણ તરફના માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં એક્ટિવા સવાર આધેડનું મોત નિપજ્યું છે. પાટણ શહેરના મોતીસા દરવાજા પાસે આવેલી સતકેવલ સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ કાંતિભાઈ પટણી અને તેમના પત્ની જ્યોત્સનાબેન પોતાનું એક્ટીવા લઈને કુણઘેર-સબોસણ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક બાઈક ચાલકે તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે દંપતી રોડની સાઈડમાં ફંગોળાઈને નીચે પટકાયું હતું, જેમાં પ્રકાશભાઈને માથા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે તેમના પત્ની જ્યોત્સનાબેનને પણ શરીરના ભાગે વધતી-ઓછી ઈજાઓ થઈ હતી. બંનેને બેભાન અવસ્થામાં તાત્કાલિક સારવાર અર્થે ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ પ્રકાશભાઈ પટણીએ દમ તોડ્યો હતો. બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પાલનપુર પાલિકા ચૂંટણીનો ચિતાર:, સફાઈ, પાણી સહિત પાયાની સુવિધાઓને લઇને જનતાની ઉમેદવારો સામે નારાજગી
ૉપાલનપુરમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, મત માગવા પહોંચતા ઉમેદવારોને લોકો પહેલા પોતાની સમસ્યાઓ જણાવી રહ્યા છે. મફતપુરા વિસ્તારમાં લગ્નપ્રસંગો દરમિયાન ઉભરાતી ગટરની સમસ્યાથી રહેવાસીઓ પરેશાન છે. ઉમેદવારોએ ભૂગર્ભ ગટર મંજૂર થઈ ગઈ હોવાનું અને મહિનામાં કામ શરૂ થવાનું આશ્વાસન આપ્યું, ત્યારે સ્થાનિકોએ પણ સ્પષ્ટ કહ્યું કે, ગટરના ભૂંગળા મોટા નખાવજો જેથી ભવિષ્યમાં ફરી સમસ્યા ન સર્જાય. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર-3માં ચૂંટણી પ્રચાર દરમિયાન લોકો ઉમેદવારોને મત આપવા પહેલા પોતાના વિસ્તારની મૂળભૂત સમસ્યાઓનો હિસાબ માંગતા જોવા મળ્યા હતા. સવારે 10 વાગ્યે મફતપુરા, ડંકીવાસ, ઓડવાસ, રબારીવાસ, ખોડિયાર મંદિર, અમીરબાગ સહિતના વિસ્તારોમાં ડોર-ટુ-ડોર પ્રચાર માટે નીકળેલા ઉમેદવારોને સ્થાનિકોએ ગટર, વરસાદી પાણી, પીવાના પાણી અને રખડતા પશુઓના પ્રશ્નો અંગે ઘેર્યા હતા. . ઉમેદવારોનું એક મહિનામાં કામનું આશ્વાસન લોકોના આક્રોશને શાંત કરવા ઉમેદવારો એવો દાવો કરી રહ્યા છે કે ગટર અને વરસાદી લાઇન મંજૂર થઈ ગઈ છે અને એક મહિનામાં કામ શરૂ થશે. જોકે, વર્ષોથી હાલાકી ભોગવતી જનતા હવે માત્ર વચનોથી સંતોષ માનવા તૈયાર નથી.
14 કોર્ટોમાં દરરોજ 200થી વધુ કેસોને અસર:પાલનપુરના વકીલો 7 દિવસથી હડતાળ ઉપર
પાલનપુરના જોરાવર પેલેસ સંકુલમાં આવેલી જિલ્લા કોર્ટને જગાણા ખસેડવા મુદ્દે 17 એપ્રિલથી શરૂ થયેલો વિરોધ પ્રદર્શન સતત પાંચ દિવસથી જારી છે. બાર એસોસિએશનના 900થી વધુ વકીલ હાલમાં વકીલાત કર્યા વગર ધરણા પર ઉતરીને ગમે તે ભોગે પાલનપુરની કોર્ટને જગાણા ન ખસેડવા સરકાર પર દબાણ વધાર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી હાઇકોર્ટ થી જુદા જુદા સિનિયર એડવોકેટ આવીને આ મુદ્દાને સમર્થન આપી રહ્યા છે. અગાઉ જે જિલ્લામાં કોર્ટ બદલાવાથી મુશ્કેલીઓ ઊભી થઈ તેવી મુશ્કેલી પાલનપુરમાં ન થાય તેનું પણ માર્ગદર્શન આપી રહ્યા છે. પાલનપુર બાર એસોસિએશનના પ્રકાશભાઈ એ જણાવ્યું કે પાલનપુર જોરાવર પેલેસ સંકુલમાં જુદી જુદી 14થી વધુ કોર્ટ આવેલી છે. જેમાં હાલ વકીલોની ગેરહાજરીમાં કેસો ન ચાલવાના લીધે પ્રતિ દિન 200થી વધુ કેસોને અસર થઈ રહી છે અને તારીખો પડી રહી છે. અમે આ મુદ્દાને લઇ હાઇકોર્ટમાં પણ ધ્યાન દોર્યું છે. એસો.ના પ્રમુખ ભાવેશભાઈ રાવલે જણાવ્યું હતું કે આ સમગ્ર પાલનપુર શહેરનો મુદ્દો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:પાલનપુર પાલિકામાં 13 અપક્ષોને માઈક, એસી, આઈસ્ક્રીમ જેવા ચિન્હો ફાળવાયા
પાલનપુર પાલિકામાં 13 અપક્ષોને માઈક, એસી અને આઈસ્ક્રીમ જેવા ચિન્હો ફાળવાયા છે. પાલિકાના કુલ 11 વોર્ડની 40 બેઠકો માટે હવે 105 ઉમેદવારો વચ્ચે જંગ અંતિમ તબક્કામાં છે. શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ મોટાભાગની બેઠકો પર આમને-સામને છે, જ્યારે વોર્ડ 2, 4, 5, 6 10માં અપક્ષોની સંખ્યાએ રસાકસી વધારી દીધી છે. ચૂંટણી અધિકારી દ્વારા અપક્ષોને ફાળવવામાં આવેલા નિશાનો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેમાં મહિલા ઉમેદવારને માચીસ બોક્ષ, કેટલાક યુવા ઉમેદવારોને મોર ગ્લાસ તરબૂચનું નિશાન મળ્યું છે. વોર્ડ 6 માં મહિલા ઉમેદવારને આઈસ્ક્રીમ, જ્યારે બીજાને એરકંડીશનર ફાળવાયું છે. વોર્ડ 11 ના એક ઉમેદવારને માઈકનું પ્રતીક મળ્યું છે. પાલિકાના જંગમાં માત્ર પુરુષો જ નહીં પરંતુ ચાર મહિલાઓએ પણ અપક્ષ તરીકે ઝંપલાવ્યું છે. વોર્ડ 2 માં વોર્ડ 6 માં 2 મહિલા ઉમેદવારો જ્યારે વોર્ડ 10 માં પણ અપક્ષ મહિલા ચૂંટણી લડી રહ્યા છે. લઘુમતી પ્રભુત્વ ધરાવતા વોર્ડ નંબર 4 અને 5 માં AIMIM ના ઉમેદવારો કોંગ્રેસના મતોમાં ગાબડું પાડી શકે છે. સમગ્ર ચૂંટણીમાં કુલ 105 ઉમેદવારોમાંથી મહિલા ઉમેદવારોની સંખ્યા પણ નોંધપાત્ર છે, જેમાં વોર્ડ નંબર 6 માં તો પુરુષો કરતા મહિલા ઉમેદવારો વધુ છે. વોર્ડ નંબર 2 માં સૌથી વધુ 14 અને વોર્ડ 4 માં 16 ઉમેદવારો હોવાથી ત્યાં મતદારોને પસંદગી માટે મોટી યાદી મળશે. બીજી તરફ, વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 10 માં માત્ર 4-4 ઉમેદવારો જ મેદાનમાં રહ્યા છે, જેના કારણે ત્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાશે. અપક્ષોની ભૂમિકા આ વખતે ઘણી નિર્ણાયક સાબિત થઈ શકે છે. ખાસ કરીને વોર્ડ નંબર 6 માં ઠાકોર જ્ઞાતિના ત્રણ અપક્ષ ઉમેદવારો ઉભા રહેતા મુખ્ય પક્ષોના જ્ઞાતિ સમીકરણો ખોરવાય તેવી શક્યતા છે.
પાલનપુર સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના એક મોટા કિસ્સાનો ભેદ ઉકેલી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના બસુ એક વેપારી સહિત દેશના 11 રાજ્યોમાં 20 લોકોને આકર્ષક રિટર્નની લાલચ આપીને રૂ.6.60 કરોડની ઓનલાઈન ઠગાઈ કરનાર કંબોડિયા-ચાઇનીઝ ગેંગના એક સાગરીત અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિધેય કનુભાઈ ચોવટીયા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. તેને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો છે. કોર્ટ સમક્ષ 4 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે અવું દિગ્વિજયસિંહ પઢીયાર, પીઆઈ, સાયબર ક્રાઇમે જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં એક વેપારીને ટાર્ગેટ બનાવી ઠગાઈ આચરવામાં આવી હતી. વર્ષ 2025 દરમિયાન અજાણ્યા મોબાઈલ નંબર પરથી સંપર્ક કરીને ગેંગના સભ્યોએ શેર બજારમાં રોકાણ કરવાથી નિશ્ચિત વળતર અને આકર્ષક નફાની લાલચ આપી વેપારીને વિશ્વાસમાં લીધો હતો. શરૂઆતમાં ઓછી રકમના રોકાણ પર બમણું અને ત્રણ ગણું રિટર્ન આપીને વિશ્વાસ જીતવામાં આવ્યો હતો. આ રીતે વિશ્વાસ ઉભો થયા બાદ વેપારીએ વધુ નફાની લાલચે રૂ.87.47 લાખનું મોટું રોકાણ કર્યું હતું. જોકે, ત્યારબાદ ગેંગના સભ્યોએ સંપર્ક તોડી મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધા હતા, જેના કારણે વેપારીને પોતાની સાથે ઠગાઈ થયાની જાણ થઈ હતી. આ મામલે પાલનપુર સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ટેકનિકલ વિશ્લેષણ અને ડિજિટલ ટ્રેલના આધારે તપાસ હાથ ધરી હતી. તેના મોબાઇલમાં સોશિયલ મીડિયા એપ્લિકેશન નંબર પરથી અને ચેટની ડિટેલથી અન્ય બે સાગરીતોના નામો ખુલ્યા છે. જેમના સુધી પહોચીશું. તપાસ દરમ્યાન અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિધેય કનુભાઈ ચોવટીયા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીનો રિમાન્ડ મેળવી પૂછપરછ કરતાં ખુલ્યું કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત કંબોડિયા-ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલ છે. આ ગેંગ દ્વારા દેશના 11 રાજ્યોમાં 20 વ્યક્તિઓને આ જ રીતથી ટાર્ગેટ બનાવી કુલ રૂ.6.60 કરોડની ઠગાઈ કરવામાં આવી છે. હાલ પોલીસે અન્ય બે સાગરીતોના નામ મેળવી તેમની ધરપકડ માટે કાર્યવાહી તેજ કરી છે. આ સમગ્ર કૌભાંડમાં વધુ લોકો સંડોવાયેલા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભાસ્કર એનાલિસિસ:GST દર ઘટ્યા છતાં ખરીદી-વેપાર વધતાં આવક 8% વધી
મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં જીએસટી દર ઘટ્યા હોવા છતાં ઓટોમોબાઇલ, ઓટોપાર્ટ્સ એસેસરીઝ, ખેતી સહિતના ક્ષેત્રોમાં ખરીદી અને વેપારમાં વધારો થતાં જીએસટીની આવકમાં 8 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2025-26 દરમિયાન ₹રૂ.2576.70 કરોડની આવક નોંધાઈ છે. જે ગત વર્ષે ₹2387.19 કરોડ હતી. સૌથી વધુ GST આ વક ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ₹286 કરોડ, ઓટોપાર્ટ્સ એસેસરીઝમાં ₹251 કરોડ અને વર્ક્સ કોન્ટ્રાક્ટમાં ₹અંદાજે રૂ.250 કરોડની આ વક થઇ છે. મહેસાણા ડિવિઝનના નવ ઘટક મહેસાણા, પાટણ, પાલનપુર, વિજાપુર, વિસનગર, કડી, ઊંઝા, ડીસા અને સિદ્ધપુર વિસ્તારમાં ઓટો સ્પેરપાર્ટ્સ, રોડ એન્ડ બિલ્ડિંગ (વર્ક્સ કોન્ટ્રાક્ટ), મેનપાવર સપ્લાય, તમાકુ, ઓટોમોબાઇલ, ખેતી, સિરામિક, એરકન્ડીશનિંગ અને રેફ્રિજરેશન તેમજ ડેરી પ્રોડક્ટ્સનો વ્યાપ વધારે છે. જીએસટી મહેસાણા ડિવિઝન કમિશનર મિતેશભાઇ પ્રજાપતિએ કહ્યું કે, માર્કેટમાં કન્ઝપ્શન વધતાં જીએસટી આવકમાં વધારો થયો છે. બજારમાં ખરીદી વધે એટલે વેપાર વધે. જેથી જીએસટીની આવક વધતી હોય છે. ઊંઝા, ડીસાથી એક્સપોર્ટ વધતાં સ્થાનિક આવક ઘટીમહેસાણા ડિવિઝનના ઊંઝા અને ડીસા ઘટકોમાં આ વર્ષે GST આવક ઘટી છે. વિભાગના અધિકારીઓ અનુસાર, આ વિસ્તારોમાંથી આંતરરાજ્ય વેપાર અને એક્સપોર્ટ વધારે થાય છે. પરિણામે, GST સેટલમેન્ટ અન્ય રાજ્યોમાં થતું હોવાથી સ્થાનિક સ્તરે આવક ઓછી દેખાય છે. જે રાજ્યમાં માલ સપ્લાય થયો ત્યાં જીએસટી કલેકશન થાય. હકીકતમાં આવક દેશમાં જ થાય છે. મહેસાણા રૂ.₹845 કરોડની આવક સાથે અગ્રેસરજીએસટી આ વકમાં સૌથી વધુ વૃદ્ધિ પાલનપુર (20%), વિજાપુર (19%) અને વિસનગર (17%) જ્યારે ઘટાડો ઊંઝામાં (28%) અને ડીસામાં (6%) થઇ છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા શહેર રૂ.₹845 કરોડની આ વક સાથે ટોપ પર છે.
ચૂંટણીને લઈને તંત્ર સજ્જ:10 મતદાન મથકો વચ્ચે પોલીસની એક મોબાઇલ ટીમ પેટ્રોલિંગ કરશે
મહેસાણા જિલ્લામાં 26 એપ્રિલને રવિવારના રોજ યોજાનારી મહેસાણા મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 6 નગરપાલિકાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન યોજાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત માટે એક્શન પ્લાન ઘડાયો છે. ચૂંટણીના દિવસે 4 ડીવાયએસપી, 27 પીઆઇ, 75 પીએસઆઇ, 1398 પોલીસ, 80 સભ્યોની એક એસઆરપી કંપની, 2021 હોમગાર્ડ અને 153 તાલીમી એલઆરડી સહિત કુલ 3758 પોલીસ જવાનો ફરજ બજાવશે. બંદોબસ્ત વ્યવસ્થા મુજબ, જિલ્લામાં 994 મતદાન મથકોના 1723 બુથ ઉપર જ્યાં મતદાન થવાનું છે ત્યાં દરેક બુથ ઉપર 1 પોલીસ, 1 હોમગાર્ડ અને 1 જીઆરડી તેમજ મતદાન મથકના 100 અને 200 મીટરના અંતરે પણ પોલીસ, હોમગાર્ડ તેમજ જીઆરડી તૈનાત કરાશે. આ સિવાય 10 મતદાન મથકો વચ્ચે એક પીએસઆઇ અને અન્ય પોલીસ સાથેની 125 સેક્ટર મોબાઈલવાન સતત પેટ્રોલિંગ કરતી રહેશે. ઉપરાંત, સ્થાનિક પોલીસ મથકની પીસીઆર અને મોબાઇલ વાનનું પણ વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલુ રહેશે. જિલ્લામાં એક સાથે યોજાઇ રહેલી ત્રણ ચૂંટણીઓમાં આ વખતે નવીન તાલીમ લઈ રહેલા 153 એલઆરડી પણ ફરજ બજાવશે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા સંવેદનશીલ મતદાન મથકો ઉપર અન્ય મતદાન મથકની સાપેક્ષમાં વધારે પોલીસ ફોર્સ ગોઠવાશે. 1130 લાયસન્સ વાળાં હથિયાર જમા લીધાજિલ્લામાં યોજાઇ રહેલી ચૂંટણીને લઇ પોલીસ દ્વારા અત્યાર સુધી 1130 જેટલા હથિયાર જમા લેવાયા છે. 23 જેટલા નાસતા ફરતા આરોપીઓને પકડી લેવાયા છે. તેમજ 2780 સામે અટકાયતી પગલાં ઉપરાંત 11,301 વાહનોનું ચેકિંગ અને 1 પાસાનો પણ હુકમ કરાયો છે.
સોશિયલ મીડિયા પર એક સામાન્ય કોમેન્ટ ક્યારેક કેટલો મોટો વિવાદ ઉભો કરી શકે છે તેનું તાજું ઉદાહરણ મહેસાણામાં સામે આવ્યું છે. મહેસાણા શહેરના માનવ આશ્રમ ચાર રસ્તા વિસ્તારમાં રહેતી 51 વર્ષની આધેડ મહિલાને ઇન્સ્ટાગ્રામ પર કરેલી એક કોમેન્ટ ભારે પડી ગઈ છે અને હવે મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે. મહિલાએ હરિયાણાના એક યુવક દ્વારા તેના પેરાલિસિસથી પીડિત પિતાની સંભાળ લેતા વીડિયો પોસ્ટ પર “છોકરાઓ આવાં જ હોવા જોઈએ” જેવી સામાન્ય કોમેન્ટ કરી હતી. પરંતુ, આ કોમેન્ટથી યુવકની એક મિત્ર યુવતી ઉશ્કેરાઈ ગઈ હતી અને તેણે મહિલાને ગાળો લખીને જવાબ આપ્યો હતો. ત્યાર બાદ બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર જ ગાળાગાળી અને વાકયુદ્ધ શરૂ થઈ ગયું હતું. મામલો વધુ ગંભીર બનતાં મહિલાએ પણ સામેવાળી યુવતીને ગાળો આપતાં અને તું મહેસાણા આવે તો તને ખબર પાડું અને ગોળી મારી જાનથી મારી નાખવાની ધમકી આપતી કોમેન્ટ કરી હોવાનું પણ સામે આવ્યું છે. આ સમગ્ર વિવાદ બાદ યુવતીએ ગુડગાંવ પોલીસ મથકે મહેસાણાની મહિલા સામે પોતાને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. આઇપી એડ્રેસ અને મોબાઇલ નંબરના આધારે ગુડગાંવ પોલીસ મંગળવારે મહેસાણા એ ડિવિઝન પોલીસ સાથે તપાસ માટેપહોંચી હતી. સ્થાનિક પોલીસની મદદથી મહિલાને પોલીસ મથકેબોલાવતાં તેણીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતુ કે, તેને પણસામેવાળી યુવતીએ બેફામ ગાળો લખી હતી અને સમગ્ર વિવાદમાંતે પહેલેથી ઉશ્કેરાઈ હતી. હાલ ગુડગાંવ પોલીસે મહિલાનું નિવેદનલઈ સાથે મહિલા પોલીસ ન હોવાથી નોટિસ આપી છે અને સમયમર્યાદામાં ગુડગાંવ હાજર થવા સૂચના આપી છે. સાથે જ મહિલાનેમહેસાણા સાઇબર ક્રાઇમમાં પણ ફરિયાદ નોંધાવવા સલાહઆપવામાં આવી છે. મને ગાળો લખનાર યુવતી સામે હું પણ ફરિયાદ કરીશ મારા કરતાં તો સામેવાળી યુવતીએ મને બેફામ ગાળો લખી છે. જે યુવકની પોસ્ટ પર મેં કોમેન્ટ લખી હતી તે યુવકને પણ મેં વાત કરતાં તેણે પણ તે યુવતી સાઇકી હોવાની વાત કરતાં હવે હું પણ મહેસાણામાં સાઇબર ક્રાઇમ પોલીસ મથકે તેની સામે ફરિયાદ નોંધાવીશનું પોલીસની હાજરીમાં મહિલાએ કહ્યું હતું.
મનપાની ચૂંટણીમાં રાત ઓછી વેશ ઝાઝા:ઉમેદવારો હવે 7-8 કલાક અને 10 10 સોસાયટીમાં મત માગવા ફરે છે
મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ઉમેદવારોએ સમર્થકો સાથે સોસાયટીઓમાં ડોર ટુ ડોર એટલે કે ઘરે ઘરે મતદારોનો સંપર્ક વધારી દીધો છે. છેલ્લા દિવસોમાં દરેક મતદાર સુધી પહોંચી શકાય તે માટે સાત થી આઠ કલાક ફરી રહ્યા છે. મુલાકાત દરમિયાન વડીલોને પગે લાગે છે, મહિલાઓને બે હાથ જોડી નમન કરે છે તો યુવાનો સાથે હાથ મિલાવે છે. સાથે પોતાની પેનલના ચારેય ઉમેદવારોને મત આપવા વિનંતી કરી રહ્યા છે. એક ઉમેદવાર રોજ 10 થી વધુ સોસાયટીમાં ડોર ટુ ડોર પ્રચાર માટે ફરતા હોઇ કસરત એટલી હદે વધી છે કે કમરના દુ:ખાવા પણ કેટલાકને શરૂ થયા છે. શહેરના વોર્ડ નં.4માં વિસનગર રોડ પર એન.જી. સ્કૂલ સામે કૃણાલ હોપટાઉન અને સોમેશ્વર યુએન હોમ્સમાં સાઉન્ડ સિસ્ટમ સાથે ડોર ટુ ડોર પ્રચાર કરતા ઉમેદવારો ઘરમાંથી વડીલ બહાર આવે કે તરત પગે લાગી આશીર્વાદ મેળવતા, માસી જોજો હો, મત રહી ન જાય, તો સામે માસી પણ અરે કહેવું ના પડે, બધુ બરોબર છે તેવા સંવાદ સંભળાય છે. બાજુમાં એક કાર્યકર પેમ્ફલેટ આપી આ ક્રમ સામે બટન દબાવી રજીસ્ટ્રેશન છેલ્લે કરી લેવા સમજાવે છે. આ બંને સોસાયટીમાં સ્થાનિક લોકોને પૂછ્યું કે, અહીં કેટલા મતદારો છે. તો જવાબ મળ્યો કે, ઘણા વતનમાં રહે છે. એટલે મકાન 250 છે પણ મત 130 જેટલા હશે. ચૂંટણીનો માહોલ કેવો છે, શું લાગે છે એવું પૂછતાં એક યુવાને કહ્યું, તમે ભાજપમાં કે કોંગ્રેસમાં છો?. એટલે મતદારો પણ સામે કયા પક્ષ માં માનવાવા ળા છે તે જા ણીને જવાબ આપે છે. એક વડીલે કહ્યું જે ઉમેદવારો આવે તેમને બધાને આવકારવાના. મત તો જેને આપવાનો હોય તેને જ મતદારો આપશે ને? ઉમેદવારો સાલ અને હાર સાથે જ રાખે છેપ્રચાર દરમિયાન કેટલાક ઘરમાલિકને સામેથી સાલ, હારઆપી અને તેમના હસ્તેઉમેદવારોનું સ્વાગત કરતાફોટોની જમાવટ પણ જોવા મળીરહી છે. ટાબરિયાઓને પાર્ટીનીટોપી મળી જતાં સાયકલીગ મોજકરવા લાગ્યા. ત્યાં ત્રીજીલાઇનના એક ઘરના ઝાંપે આપ્રચાર ટીમ પહોચી તો એક યુવાનમોબાઇલ લઇને તરત રીલઉતારવા લાગ્યો અને ઉમેદવારનેઆગળ ધરી મત અપીલ મેળવીલીધી હવે ઇન્ટાગ્રામમાં ચઢાવીદઇશુ તેવું કહ્યું.
રેલવે તંત્ર અમદાવાદ બાદ હવે મહેસાણામાં રેસ્ટોરન્ટ ઓન વ્હીલ શરૂ કરવા જઇ રહ્યું છે. રેલવે સ્ટેશનમાં ગોપીનાળા નજીક રેલવે પ્રવેશદ્વાર પાસે કોચ રેસ્ટોરન્ટ બનાવવાની કામગીરી 60 ટકા પૂરી થઈ છે અને દોઢ-બે મહિનામાં રેસ્ટોરન્ટ શરૂ થવાની સંભાવના છે. રેસ્ટોરન્ટ માટે 70 ટન વજન ધરાવતો જૂનો કોચ અહીં લવાયો છે. જેને આધુનિક સુવિધાઓ સાથે રેસ્ટોરન્ટમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યો છે. 75 ફૂટ લાંબા, 12 ફૂટ પહોળા અને 13 ફૂટ ઊંચા કોચમાં એકસાથે 65 લોકો ભોજન લઈ શકશે. આ એસી રેસ્ટોરન્ટ 24 કલાક ખુલ્લું રહેશે. જ્યાં ગુજરાતી, પંજાબી, ચાઈનીઝ વાનગી મળશે. કોચની અંદર એક બાજુ રસોડું અને બીજી બાજુ શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા પણ હશે. રેસ્ટોરન્ટની આગળ ગાર્ડન બનાવાશે, જ્યાં ખુલ્લી હવામાં બેસીને ભોજન માણી શકાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. સાથે જ બહાર મોટી સ્ક્રીન મૂકવામાં આવશે, જેથી લોકો ભોજન સાથે મનોરંજનનો પણ આનંદ લઈ શકે. આ કોચમાં મહેસાણાની સંસ્કૃતિ અને પ્રખ્યાત સ્થળોની ઝાંખી દર્શાવવામાં આવશે.
પશ્ચિમ એશિયામાં વધતા તણાવની સીધી અસર હવે કચ્છના દરિયાઈ વેપાર પર જોવા મળી રહી છે. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં ભારત, અને ખાસ કરીને કચ્છના મુન્દ્રા પોર્ટ તરફ આવી રહેલા એક વિશાળ કન્ટેનર શિપ ‘એપામિનોડેસ’ને રોકીને કબજે કરવામાં આવ્યું છે. લાઈબેરિયાના ફ્લેગ ધરાવતું આ જહાજ મુન્દ્રા પોર્ટ પર માલસામાન ઉતારવા માટે નિર્ધારિત હતું, પરંતુ ઈરાની નૌકાદળે તેને અધવચ્ચેથી ઈન્ટરસેપ્ટ કરી પોતાના કબજામાં લીધું છે. ઈરાની નૌકાદળના સત્તાવાર નિવેદન અનુસાર, આ જહાજ પરવાનગી વગર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યું હતું. વધુમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે જહાજની નેવિગેશન સિસ્ટમમાં છેડછાડ કરવામાં આવી હતી, જે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન છે. આ કાર્યવાહી દરમિયાન ઈરાને માત્ર ‘એપામિનોડેસ’ જ નહીં, પરંતુ ઈઝરાયલ સાથે કનેક્શન ધરાવતા ‘ફ્રાન્સેસ્કા’ નામના જહાજને પણ જપ્ત કર્યું છે, જ્યારે ‘યૂફોરિયા’ નામના જહાજ પર હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. મુન્દ્રાએ ભારતનું સૌથી મોટું ખાનગી બંદર છે અને અહીંથી હજારો ટન માલસામાનનું પરિવહન થાય છે. આ જહાજમાં રહેલો કન્ટેનર કાર્ગો મુન્દ્રાના વિવિધ એજન્ટો અને ઉદ્યોગો સાથે જોડાયેલો હતો. આ અગાઉ ઓમાનના તટ પાસે પણ જહાજો પર હુમલાની ઘટનાઓ બની હતી, જે દર્શાવે છે કે આ રૂટ પર જોખમ વધી રહ્યું છે. જહાજ જપ્ત થતા થશે મોટી અસર
કચ્છમાં ફરી ડીઝલનો દુકાળ?:ખાનગી પંપોએ ભાવ વધારતા સરકારી પંપો ખાલી
કચ્છ જિલ્લામાં એક માસના વિરામ બાદ ફરી એકવાર ડીઝલની ગંભીર અછત ર્સજાઈ છે. છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર જિલ્લામાં ડીઝલની સાથે અનેક જગ્યાએ પેટ્રોલ પણ પુરતું મળતું નથી. નાયરા અને શેલ જેવી ખાનગી કંપનીઓએ ડીઝલના ભાવમાં લિટર દીઠ 5 થી 7 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકી દેતા ગ્રાહકો સરકારી પેટ્રોલ પંપ (HPCL, IOCL, BPCL) તરફ વળ્યા છે. સરકારી પંપો પર અચાનક ઘસારો વધતા સ્ટોક રાતોરાત ખાલી થઈ રહ્યો છે. હાલત એવી છે કે અનેક પંપો પર રાત્રિના સમયે વાહનચાલકોને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે. ડીઝલની અછત પાછળ કંપનીઓની નવી નીતિ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાશ્મીના જણાવ્યા અનુસાર, કંપનીઓએ દરેક પંપ માટે સપ્લાયનો ‘કોટા’ નક્કી કરી દીધો છે. સરેરાસ વેચાણ મુજબ જ જથ્થો ફાળવવામાં આવતો હોવાથી, જ્યારે માંગ વધે ત્યારે પંપો પર ‘નો સ્ટોક’ના પાટિયા ઝૂલી જાય છે. પંપ સંચાલકોના મતે કંપનીઓ જરૂરિયાત મુજબ સપ્લાય આપી રહી નથી. કચ્છની અર્થવ્યવસ્થાની જીવાદોરી સમાન ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મોટો ફરી એકવાર મોટી સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. હજારો ટ્રક ચાલકો ડીઝલ મેળવવા માટે એક પંપથી બીજા પંપે ભટકી રહ્યા છે. પૂરતો જથ્થો ન મળતા ડિલિવરી મોડી પડી રહી છે, જેની સીધી અસર આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પર પડવાની ભીતિ છે. ઇંધણની અછત અને કારણો
ભાસ્કર એક્સક્લુસિવ:રાજસ્થાન રિફાઇનરીમાં આગથી મુન્દ્રાથી પમ્પ થતું 1.5 થી 2 મિલિયન બેરલ ક્રૂડ અટવાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજસ્થાનના પચપદરા ખાતે 79,450 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી HPCL રાજસ્થાન રિફાઇનરી (HRRL) ના નિર્ધારિત ઉદ્ઘાટનના બરાબર એક દિવસ પહેલા જ, તેના હાર્દ સમાન ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટ (CDU) માં લાગેલી આગે સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે. આ ઘટના માત્ર ટેકનિકલ ખામી હતી કે કોઈ મોટું ષડયંત્ર તેની તપાસ માટે હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને કેન્દ્રીય એજન્સીઓએ મોરચો સંભાળી લીધો છે. પણ આ આગના લીધે કચ્છના બંદરો પર આર્થિક સંકટ આવી શકે છે. આ આગ રાજસ્થાનમાં લાગી હોય, પરંતુ તેનો આર્થિક અને લોજિસ્ટિકલ ભૂકંપ 487 કિલોમીટર દૂર ગુજરાતના કચ્છ (મુન્દ્રા અને કંડલા) ખાતે અનુભવાઈ રહ્યો છે. રિફાઇનરી પ્રોજેક્ટ અનિશ્ચિત સમય માટે અટકતા મુન્દ્રા પોર્ટ અને કંડલાના ઉદ્યોગો પર તેની ગંભીર આર્થિક અસરો શરૂ થઈ ગઈ છે. ગત 17 એપ્રિલના રોજ જ મુન્દ્રાના ક્રૂડ ઓઇલ ટર્મિનલ (COT) થી પચપદરા સુધીની 487 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું સફળ ટેસ્ટિંગ પૂર્ણ કરવામાં આવ્યું હતું. પાઇપલાઇનમાં આશરે 1.5 થી 2 મિલિયન બેરલ આયાતી ‘આરબ મિક્સ ક્રૂડ’ રિફાઇનરી તરફ પમ્પ કરી દેવાયું હતું. પરંતુ CDU માં વિસ્ફોટ અને આગના કારણે આખું યુનિટ બંધ પડી ગયું છે. નિષ્ણાતોના મતે નુકસાન મોટું હશે તો રિફાઇનરી શરૂ થવામાં એક વર્ષનો વિલંબ થઈ શકે છે. આ સંજોગોમાં મુન્દ્રાની કરોડો રૂપિયાની સપ્લાય ચેઇનને અચાનક બ્રેક વાગી ગઈ છે. કચ્છના ઉદ્યોગોને લાખોનો ફટકો પડશે મુન્દ્રા-રાજસ્થાન ક્રૂડ પ્રોજેક્ટ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને હવે બે દિવસ બાકી રહ્યા છે. રાજકીય પક્ષો મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે સુરત મનપાની ચૂંટણીના અંતિમ તબક્કામાં ભાજપે પાટીદાર બહુલ વિસ્તારમાં પ્રભુત્વ મેળવવા પૂરી તાકાત લગાવી દીધી છે અને આજે 23 એપ્રિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભવ્ય બાઈક રેલીજ્યાં તેઓ સીમાડા નાકાથી હીરાબાગ સર્કલ સુધી ભવ્ય બાઈક રેલી યોજી જનસમર્થન મેળવવાનો પ્રયાસ કરવાના છે. આ હાઈ-પ્રોફાઈલ પ્રવાસને પગલે શહેરમાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી રાજકોટની મુલાકાતે છે. સાંજે 5 વાગ્યે જુના રાજકોટ વિસ્તારમાં તેઓ ભવ્ય રોડ શો યોજવાના છે. રાજકોટમાં નાયબ મુખ્યમંત્રીનો ભવ્ય રોડ શોતેઓ શહેરની જૂની બજારમાં રોડ શો યોજી વેપારીઓને ભાજપના સમર્થનમાં મતદાન કરવા અપીલ પણ કરશે. રાજકોટના ત્રિકોણબાગથી શરૂ કરી ગરેડીયા કુવા રોડ, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ઘી કાંટા રોડ, કંસારા બજાર, સોની બજાર, પેલેસ રોડ, સ્વામિનારાયણ મંદિર, બાલાજી મંદિર અને પરત ત્રિકોણબાગ ખાતે રોડ શો પૂર્ણ કરવામાં આવશે. 'અમદાવાદમાં સ્લોટર હાઉસ બનવું જરૂરી છે'ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે અમદાવાદ શહેરના જમાલપુર વોર્ડમાં મિરઝાપુરના કુરેશી ચોકમાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ જાહેર સભા યોજી હતી. જેમાં અસદુદ્દીન ઓવૈસી ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. ઓવૈસીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં રોડ, ગટર, વરસાદી પાણીના નિકાલની જરૂર છે. અમદાવાદમાં સ્લોટર હાઉસ બનવું જરૂરી છે. કુરેશી સમાજના લોકો જ્યારે પશુઓ લઈને આવે છે ત્યારે ગૌરક્ષક અને RSS રોકે છે. 'બિલિકીસ બાનુના આરોપીઓને છોડી દેવામાં આવ્યા'ભારતમાં મુસ્લિમની નેતાગીરી હોવી જોઈએ. માત્ર જો વોટર બનશો તો તમારી તકલીફો દૂર નહીં થાય. લોકો મારા પર આરોપ લગાવે છે કે, હું ચૂંટણી લડું છું. પશ્ચિમ બંગાળમાં અનેક પાર્ટીઓ ચૂંટણી લડે છે, પરંતુ માત્ર મારા પર ભાજપને જીતાડવાનો આરોપ લગાડવામાં આવે છે. જે વધુ સીટ પર લડે છે એમને કોઈ પૂછવા આવતું નથી. જ્યારે મુસ્લિમની નેતાગીરી હશે અને તેમને રોકશે નહીં. હું તમામને કહું છું કે, તમે આરોપ લગાવી દો. હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી લડીશ. હું ગુજરાતમાં પાંચ ધારાસભ્ય લડાવીશ અને જીતીશું. બિલિકીસ બાનુના આરોપીઓને છોડી દેવામાં આવ્યા છે. 2002ના તોફાનો કઈ જ નથી એના પહેલા કોંગ્રેસની સરકારમાં બહુ તોફાનો થયા છે. 'તમારા કોઈ નેતા બને એવું લોકો ઇચ્છતા નથી'AIMIM પાર્ટીના નેતા બનાવવા માટે આવ્યો છું. તમારા કોઈ નેતા બને એવું લોકો ઇચ્છતા નથી. તમારા વોટથી પાર્ટીને સફળ બનાવવાની છે. તમારી નેતાગીરીને મજબૂત કરવાની છે. ભારતના કરોડો મુસ્લિમોનો અવાજ બનીશું. તમારો વોટ કોઈને સફળ બનાવવા માટે હશે. 'UCC બિલ વિરુદ્ધ અમે અદાલતમાં જઈશું'તમારો મત ભાજપ વિરુદ્ધ હોવો જોઈએ. ગુજરાતના ભાજપ અને RSS નેતાઓને કહેવા માગું છું કે, તમે મુસ્લિમ વિરુદ્ધ UCC બિલ લાવ્યા છો. UCC બિલ વિરુદ્ધ અમે અદાલતમાં જઈશું. આ બિલ વિરુદ્ધમાં તમારે મત આપવાનો છે. કોંગ્રેસે અશાંતધારો બનાવ્યો છે. અશાંતધારો અને UAPA કોંગ્રેસે બનાવ્યો છે અને ભાજપે તેને વધારે ખરાબ કરી નાખ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાતની વાતો કરો છો તો કેમ અશાંતધારો લાગુ કર્યો છે? અશાંતધારો લાગુ કર્યો છે. હું જવાબદારી સાથે કહું છું કે આ ચૂંટણી પૂરી થયા બાદ 3 મહિનામાં અમારા નેતા ગુજરાત આવશે અને કોર્પોરેટરને મળશે અને બધાને સુધારશે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની 200 વર્ષની સફર એટલે ભદ્રથી સ્માર્ટ સિટીનો પ્રવાસ. રણછોડલાલ છોટાલાલ અને સરદાર પટેલ જેવા નેતાઓએ ઘડેલું આ શહેર આજે રિવરફ્રન્ટથી ગ્લોબલ મેપ પર છે. વિકાસ અને પડકારો વચ્ચે, 26 એપ્રિલનું મતદાન અમદાવાદનું ભાવિ નક્કી કરશે. જુઓ આઝાદીથી અત્યાર સુધીની AMCની આ ખાસ ગાથા પણ મનપા સામે આખલાની જેમ 7 સમસ્યાઓ હજુ પણ ઉભી છે. વીડિયો જોવા ઉપરના ફોટો પર ક્લિક કરો.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની આ વખતની ચૂંટણી એક અલગ જ કારણે ચર્ચામાં છે. કારણ કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અપક્ષના ઘણા ઉમેદવારોના ફોર્મ રદ થયા અથવા તો એમણે પાછા ખેંચી લીધા. પરિણામે ભાજપે 700થી વધુ બેઠકો બિનહરિફ જીતી લીધી. એમાં પણ કડી અને ગણદેવી તો એવી નગરપાલિકા છે, જ્યાં મતદાન થયા વગર જ ભાજપને સત્તા મળી ગઈ. આવા ગજબનાક ઘટનાક્રમને સમજવા માટે અમે ગણદેવીમાં ઇન્વેસ્ટિગેશન કર્યું. તો કોંગ્રેસી નેતાઓની એવી દાનત ખુલ્લી પડી, જેનાથી જનતા જ નહીં મોટા નેતાઓ પણ કદાચ અજાણ હશે. સત્તાની સજાવેલી થાળી ભાજપને ભેટમાં મળવાની ઘટના શું છે?આ પ્રકરણની શરૂઆત થઈ 11 એપ્રિલથી. ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. ગણદેવી નગરપાલિકામાં 6 વોર્ડની 24 બેઠકો છે. જ્યાં ગયા વખતે તમામ બેઠકો ભાજપ જીતી ગયું હતું. આ વખતે કોંગ્રેસને ઉમેદવાર શોધવામાં પણ ફાંફા પડી ગયા. જેમ તેમ કરીને 18 બેઠકો માટે ઉમેદવારો નક્કી કર્યા. એટલે કે ઉમેદવારી માટે કોંગ્રેસમાં આંતરિક રીતે કોઈ ખેંચતાણ ન હતી એ સ્પષ્ટ રીતે માલુમ પડે છે. એક સાથે કોંગ્રેસના તમામ ઉમેદવારોના ફોર્મ રદ થયાચૂંટણી કેલેન્ડર પ્રમાણે 11 એપ્રિલે બપોરના 3 વાગતા સુધીમાં ઉમેદવારી નોંધાવી શકાય એમ હતું. કોંગ્રેસના નેતાઓ 18 ઉમેદવારો ફોર્મ લઈને દોઢ વાગ્યે પહોંચ્યા પરંતુ મેન્ડેટ 3 વાગતા સુધીમાં ન પહોંચી શક્યા. એટલે ચૂંટણી અધિકારી મિતેશ પટેલે કહી દીધું કે ‘હવે મેન્ડેટ સ્વીકારવામાં આવશે નહીં.’ 13 એપ્રિલે ફોર્મ ચકાસણી થઈ, મેન્ડેટ ન હોવાથી કોંગ્રેસી ઉમેદવારોના ફોર્મ રદ થયા અને ભાજપના નેતાઓ આ બેઠકો પર બિનહરિફ વિજેતા જાહેર થયા. પણ…પણ…પણ.. આ ઘટનાક્રમ દેખાય છે એટલો ચોખ્ખો નથી. એક સાથે 18 ઉમેદવારોના મેન્ડેટ ન પહોંચવા એ અસામાન્ય ઘટના હતી. આ સમાચાર આવતા જ પહેલી નજરે લાગ્યું કે દાળમાં કંઈક કાળુ છે. એટલે વિગતવાર આખો ઘટનાક્રમ સમજવા માટે દિવ્ય ભાસ્કરના રિપોર્ટર ત્રણ દિવસ ગણદેવી, ચિખલી અને નવસારીમાં રહ્યા અને ઇન્વેસ્ટિગેશન કર્યું. અમે કોંગ્રેસી નેતાઓને મળ્યા, જરૂર લાગી ત્યાં સ્ટિંગ ઓપરેશન કર્યું અને સત્તાવાર ઇન્ટરવ્યૂ પણ લીધા. જેમાં અમે જાણ્યું તે અમદાવાદના પ્રદેશ કાર્યાલયથી મેન્ડેટ કોણ લઈને નીકળ્યું? ફોર્મ ભરાઈ રહ્યા હતા ત્યારે મેન્ડેટ ક્યાં હતા? મેન્ડેટ મોડા પહોંચવા પાછળનું કારણ ખરેખરમાં શું છે? એ જાણવા માટે અમે વિવિધ નેતાઓને મળીને આખો ઘટનાક્રમ સમય પ્રમાણે ગોઠવ્યો. જેમાં ખરેખર કોની “ભૂલ” હતી એ ખબર પડી ગઈ. સૌથી પહેલાં આ કોષ્ટકમાં આપેલી માહિતી જુઓ. કોંગ્રેસના નેતાઓ સવા 1 વાગ્યાની આસપાસ ઉમેદવારો સાથે ફોર્મ ભરવા માટે ચિખલી પહોંચી ગયા હતા. ડિપોઝિટ જમા કરાવ્યાની રસિદમાં લખેલા સમય પ્રમાણે તેમણે પહેલું ફોર્મ વોર્ડ નંબર 2ના ઉમેદવાદ અમીના બેનનું 2 વાગીને 37 મિનિટે જમા કરાવ્યું હતું. જ્યારે છેલ્લું ફોર્મ પણ અમીના બેનનું વોર્ડ નંબર 3ના ઉમેદવાર તરીકે 2 વાગીને 55 મિનિટે જમા કરાવ્યું હતું. ફોર્મ જમા કરાવવાનો સમય 3 વાગ્યા સુધીનો હતો. એટલે જો 5 મિનિટ પહેલાં જ ફોર્મ જમા કરાવી દીધા હોય તો સમયસીમા પૂરી થતાં પહેલાં ઉમેદવાર કે અધિકારીઓને મેન્ડેટ યાદ આવ્યા હતા કે નહીં? કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થયા પછી 13મી એપ્રિલે નવસારી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની સૌથી પહેલી પ્રતિક્રિયા આવી હતી. તેમણે આ મુદ્દે આક્રોશ વ્યક્ત કરીને હાઇકોર્ટ જવા સુધીની તૈયારી દર્શાવી હતી. પણ પછી જાણે કાંઈ થયું જ ન હોય એમ ન તો શૈલેષ પટેલ આ બાબતે આગળ વધ્યા, ન તો પ્રદેશ કક્ષાએથી હલચલ જોવા મળી. એટલે અમે સૌથી પહેલાં શૈલેષ પટેલને મળવાનું નક્કી કર્યું. શૈલેષ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત થયા પછી તેમણે 16 એપ્રિલે બપોરે 1 વાગ્યે રૂબરૂ મળવા માટેની તૈયારી દર્શાવી. જો કે 1 વાગ્યાનો વાયદો કર્યા બાદ પણ શૈલેષ પટેલ 3 વાગ્યે પહોંચ્યા. તેમણે ઓનરેકોર્ડ ઇન્ટરવ્યૂ આપવાનો ઇન્કાર કરી દીધો. એટલે નાછૂટકે અમારે સ્ટિંગ ઓપરેશન કરવું પડ્યું. રૂબરુ મુલાકાત દરમિયાન અમે સૌથી પહેલાં ફોર્મ ભરાયા એ દિવસના ઘટનાક્રમ અંગે સવાલ કર્યા. જેના જવાબમાં શૈલેષ પટેલે કહ્યું, મેન્ડેટ તો અમે જ અમદાવાદથી લાવીએ છીએ. અમે સવારમાં લખીને આપી દીધા હતા. કુલ 18 લોકોના મેન્ડેટ લખ્યા હતા. પણ અધિકારી રાજરમત રમી ગયા. તેમણે આગળ કહ્યું, કુલ 18 ઉમેદવારોના ફોર્મ ભરવાના હતા. એમના ફોર્મ અને ફી ભરવાની પ્રક્રિયા 3 વાગતા સુધીમાં પતી ગઈ. તમામ લોકો સંકુલમાં જ હતા. પણ ફોર્મમાં જે તે વસ્તુ ખુટે છે એમ કહેતા સમયમર્યાદા કરતા 7 મિનિટ વધુ થઈ ગઈ. પછી અમારા લોકો મેન્ડેટ આપવા ગયા એટલે ચૂંટણી અધિકારીએ ના પાડી દીધી. “અમારા આગેવાનોએ મને ફોન કર્યો. હું હાઇવે પર જ હતો. એટલે પાંચ મિનિટમાં પહોંચી ગયો. ત્યારે ચૂંટણી અધિકારી મિતેષ પટેલે મને પણ કહ્યું કે ‘સાત મિનિટ વધારે થઈ ગઈ છે.’ મેં કહ્યું, ‘ફી ભરી દીધી છે, તેની રસિદ પણ છે. એ લોકોએ ફોર્મમાં સુધારા તમારા અધિકારીની દેખરેખમાં કરતા હતા તો પછી વાંધો શું છે?’ મને 50 લાખની ઓફર હતી- શૈલેષ પટેલવાતવાતમાં શૈલેષ પટેલે એક ચોંકાવનારો દાવો કર્યો કે, ભાજપના કાર્યકરોએ મને પણ પ્રલોભન આપ્યા હતા. એ લોકો ચહેરા અને હોદ્દા જોઈને ઓફર કરે છે. મને નબળા ઉમેદવાર ઉભા રાખવા માટે 50 લાખ રૂપિયાની ઓફર હતી. જિલ્લા પંચાયતની જે પણ સીટ પર એ લોકો હારતા હોય ત્યાં મારે નબળા ઉમેદવાર મૂકવાના. એટલે એ લોકો જીતી જાય. મારે એવી 10 સીટ સેટ કરવાની હતી. એમાં 50 લાખ રૂપિયાની ઓફર હતી. પરંતુ અમે ઉમેદવાર મજબૂત મૂક્યા એટલે અમારા ઉમેદવાર ખરીદવા પડ્યા. એ લોકોએ ખરીદીને, ધમકાવીને ઉમેદવાર પાડી દીધા. પોલીસવાળા મને કહે છે કે ચૂંટણી વખતે સરખા રહેજો નહીં તો તમારા પર કેસ થશે. અમારી પાસે ઓફર તો ઘણા પ્રકારની આવે. પણ મારી પાસે એ લોકો નથી કરી શકતા. શૈલેષ પટેલ બોલ્યા, મારે કહેવું ન જોઈએ પણ મારા કાર્યકારી પ્રમુખને તો એ લોકોએ ખરીદી લીધો. એક રેગ્યુલર પ્રમુખ સાથે પણ સેટિંગ કરી લીધું. અમે વેરો ભર્યો, જેમ તેમ કરીને ઉમેદવારો તૈયાર કર્યા હતા- શૈલેષ પટેલશૈલેષ પટેલે અન્ય એક સવાલના જવાબમાં જણાવ્યું, અત્યારે કોંગ્રેસના ઉમેદવારોની સ્થિતિ એવી છે કે એ લોકોનો ઘર વેરો પણ અમારે ભરવો પડ્યો. એ લોકોની ડિપોઝિટ પણ આપવાની અને જેમ તેમ કરીને ચૂંટણી લડાવવા માટે લાવવાના. એવી પરિસ્થિતિમાં 18 ઉમેદવાર તૈયાર કર્યા હતા. શૈલેષ પટેલ સાથેની મુલાકાતથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે ફોર્મ ભરાયા ત્યારે કોંગ્રેસના એક નેતા પાસે મેન્ડેટ હતા અને આ નેતા પ્રાંત અધિકારીની ઓફિસે જ હાજર હતા. પરંતુ આવી હકીકત સામે આવતા જ કેટલાક ગંભીર સવાલો પણ ઉઠ્યા. મેન્ડેટ વગર ફોર્મ ભર્યા એટલે ઉમેદવારી રદ થવી નક્કી હતી. વાજતેગાજતે ઉમેદવારી નોંધાવવા માટે ગયેલા કોંગ્રેસના નેતાઓ વીલા મોઢે એ દિવસે ઘરે પરત ફર્યા હતા. આ જ ઉમેદવારો સમગ્ર ઘટનાના પ્રત્યક્ષદર્શી હતા. એટલે સચોટ સત્ય જાણવા માટે અમે એવા નેતાને મળ્યા, જેનું ફોર્મ મેન્ડેટ ન હોવાના કારણે રદ થયું. અમારી મુલાકાત મયુર શાંતિલાલ મિસ્ત્રી સાથે થઈ. જેઓ ગણદેવી શહેર કોંગ્રેસ પ્રમુખ છે અને તેમણે વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 5માંથી ઉમેદવારી નોંધાવવાની તૈયારી કરી હતી. વાંચો… મયુર મિસ્ત્રી સાથેના સવાલ-જવાબ. જેનાથી ઘણુ ખરું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે. પહેલાં શૈલેષ પટેલ અને ત્યાર બાદ મયુર મિસ્ત્રી સાથેની વાતચીતથી ખ્યાલ આવી ગયો કે મેન્ડેટ તો સમયસર મળી જ ગયા હતા. પરંતુ એ યોગ્ય સમયે રજૂ કેમ ન કર્યા? આ વાતનો જવાબ એક જ વ્યક્તિ પાસે મળે એમ હતો. આ વ્યક્તિ એટલે નવસારી જિલ્લા કોંગ્રેસના મંત્રી મિનેશ પટેલ ઉર્ફે મુન્નાભાઈ પટેલ. તેમણે મળવા અમે શહેર કોંગ્રેસની ઓફિસે પહોંચ્યા. કોંગ્રેસી નેતાએ કહ્યું, પ્રદેશ કક્ષાએથી કોઈ મદદ ન મળીગણદેવી શહેરમાં એક કોમ્પ્લેક્સના અંડરગ્રાઉન્ડ ફ્લોર પર કોંગ્રેસની ઓફિસ આવેલી છે. ઓફિસમાં ગાદલા પાથરીને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પણ ચૂંટણી જ ન હોવાના કારણે કાર્યાલય પર સન્નાટો હતો. અમે ત્યાં પહોંચ્યા તો ત્રણેક લોકો જ હાજર હતા. એક પીઢ કોંગ્રેસી કાર્યકરે કહ્યું, અહીંયાં કોંગ્રેસને ઉમેદવાર પણ નથી મળતા, માંડ ઉમેદવાર ઊભા રાખ્યા હતા. અમુક ઉમેદવારોનો વેરા પણ અમે અમારા ખિસ્સાના રૂપિયા કાઢીને ભર્યો હતો. અમને પ્રદેશ કોંગ્રેસે મદદ નથી કરી, કોઈ ફંડ નથી આપ્યું. ઝેરોક્ષ કરાવવાના રૂપિયા પણ અમારે ચૂકવવા પડે છે એવી હાલત છે. થોડા જ સમયમાં અમારી મુલાકાત નવસારી જિલ્લા કોંગ્રેસના મંત્રી મિનેશ પટેલ ઉર્ફે મુન્નાભાઈ પટેલ સાથે થઈ. મેન્ડેટ એમની પાસે હોવાનું અગાઉ બે લોકો કહી ચૂક્યા હતા. એટલે અમે સત્ય જાણવા માટે ટૂ ધી પોઈન્ટ અને આકરા સવાલો પૂછ્યા. દિવ્ય ભાસ્કર- તમે ફોર્મ ભરવા માટે કેટલા વાગ્યે નીકળ્યા હતા?મિનેશ પટેલ- અમે ચિખલીની કોંગ્રેસ ઓફિસથી ગણદેવી SDM કચેરીએ ફોર્મ ભરવા માટે એક-સવા એક વાગ્યાના અરસામાં નીકળ્યા હતા. અમે દોઢ વાગતા સુધીમાં કચેરીએ પહોંચી ગયા હતા. અમને એવી માહિતી આપવામાં આવી તે તમારા બધા ઉમેદવારોના ફોર્મ ઓબ્ઝર્વેશન રૂમમાં ચેક કરાવી લો. અમે ત્યાં ગયા અને ઉમેદવારોના ફોર્મ ચેક કરાવ્યા. એમણે (અધિકારીઓએ) અમને “ઓકે” લખીને આપ્યું અને કહ્યું, ‘તમે પ્રાંત અધિકારીની કચેરીમાં આ ફોર્મ જવા કરાવી દો અને ફી ભરી દો.’ એટલે અમે પ્રાંત અધિકારીની ઓફિસમાં ગયા અને બધાના ફોર્મ રજૂ કર્યા. એમણે ફોર્મ ચેક કરીને ફરીથી “ઓકે” લખ્યું. ત્યાર પછી બધાની ડિપોઝિટની રસીદ પણ ફડાવી આપી. ‘પછી ત્રણ વાગવામાં એક-બે મિનિટ બાકી હતી ત્યારે અમારા ગણદેવીના શહેર પ્રમુખ મયુર મિસ્ત્રીને પૂછ્યું કે તમારા મેન્ડેટ ક્યાં છે?’ ‘ત્યારે મયુર મિસ્ત્રી જવાબ આપ્યો, મેન્ડેટ બહાર જ છે. અમે તમને લાવીને આપીએ છીએ. આ રીતે વાત કરી તો તરત જ પ્રાંત અધિકારીએ કહ્યું, હવે સમય પૂરો થઈ ગયો છે, તમે મેન્ડેટ નહીં આપી શકો.’ દિવ્ય ભાસ્કર- તમને કોઈ લોભલાલચ આપવામાં આવી હતી?મિનેશ પટેલ- ના.. એવું કાંઈ નથી. પરંતુ ભાજપના મંત્રી દ્વારા જ પ્રાંત અધિકારીને દબાણ હોય કે કોંગ્રેસના ફોર્મ રદ કરવા, એવું થયું હોય એમ અમને લાગે છે. કારણ કે અમારી વાત જરાય સાંભળવામાં નથી આવી. ગણદેવીના અત્યાર સુધીના ઇતિહાસમાં ગણદેવી મામલતદાર ઓફિસ કે નગરપાલિકામાં જ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલતી હતી. આ વખતે પહેલીવાર એવું થયું કે ચિખલીમાં પ્રાંત કચેરીએ ફોર્મ ભરવા જવાનું થયું. આ ફેરફાર કેમ આવ્યો તેનો ખ્યાલ નથી. દિવ્ય ભાસ્કર- તમે પ્રદેશ કક્ષાએ આ મુદ્દે કોઈ વાત કરી? ચૂંટણી અધિકારીના નિર્ણય વિરુદ્ધ તમે કોર્ટમાં જવાના હતા એનું શું થયું?મિનેશ પટેલ- શૈલેષ પટેલ સાથે વાત થઈ છે અને પ્રદેશકક્ષાએ પણ વાત થઈ છે. એમણે કહ્યું છે કે હાઇકોર્ટમાં અરજી કરવી પડશે. પ્રદેશમાં કોઈક વકીલ સાથે વાત થઈ છે. પ્રદેશ કક્ષાએથી કોઈક વકીલે કહ્યું છે કે આ પ્રક્રિયા ચાલુ જ રહેશે. પરંતુ ચૂંટણી પતે એના 15 દિવસની અંદર હાઇકોર્ટમાં અરજી દાખલ કરીશું. મિનેશ પટેલે દાવો કર્યો કે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટની ગાઇડલાઇન છે કે જો આવી પરિસ્થિતિમાં એક-બે મિનિટ આમતેમ થાય તો લોકશાહીના હિતમાં મેન્ડેટ સ્વીકારવા જોઈએ. પરંતુ કોઈ જાતની વાત માનવામાં નથી આવી. પ્રાંત અધિકારીએ ભાજપના કોઈ મંત્રીના દબાણમાં આવીને કામ કર્યું હોય એવું લાગે છે. ચૂંટણી અધિકારીએ મેન્ડેટ પ્રકરણ પર કહ્યું, અમારી પાસે વીડિયો પુરાવા છેપરિસ્થિતિ વધુ સ્પષ્ટ રીતે સમજી શકાય એ હેતુથી અમે ચિખલીના પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા મિતેશ પટેલને મળવાનું નક્કી કર્યું. જ્યારે અમે તેમને પ્રશ્ન કર્યો કે, ઉમેદવારો પાસે મેન્ડેટ હોવા છતાં માત્ર પાંચ-દસ મિનિટના વિલંબને કારણે લોકશાહીના હિતમાં ફોર્મ કેમ સ્વીકારવામાં ન આવ્યું? ત્યારે તેઓ ઓન-કેમેરા બોલવા તૈયાર નહોતા. જોકે, ઓફ-કેમેરા તેમણે આખી ઘટનાની વિગતો સમજાવી હતી. તેમણે જણાવ્યું કે, જ્યારે ઉમેદવારો ફોર્મ ભરવા આવે છે, ત્યારે વહીવટી તંત્ર તરફથી તેમને સંપૂર્ણ સહયોગ આપવામાં આવે છે અને અમે નિષ્પક્ષ રીતે જ કામ કરીએ છીએ. કોઈપણ રાષ્ટ્રીય પક્ષ વતી ઉમેદવારી નોંધાવતી વખતે પક્ષનું મેન્ડેટ જમા કરાવવું ફરજિયાત છે. અમે પૂરતી કાળજી રાખીએ છીએ કે તમામ પ્રક્રિયા સમયમર્યાદામાં પૂર્ણ થાય અને જો કોઈ ઉમેદવારને તકલીફ પડે તો અમે મદદ પણ કરીએ છીએ. કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થયા તે બાબતે ખુલાસો કરતા તેમણે ઉમેર્યું કે, અમારી ઓફિસના કેમેરા સતત કાર્યરત હોય છે. ફોર્મ જમા કરાવવાની અંતિમ તારીખે બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય હતો. અમારા કર્મચારીઓ દ્વારા વારંવાર બૂમો પાડીને ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા, જે તમામ બાબતો કેમેરામાં કેદ થયેલી છે. આમ છતાં, કોંગ્રેસના ઉમેદવારો સમયસર મેન્ડેટ રજૂ કરી શક્યા નહોતા. નિયમ મુજબ, સમયમર્યાદા પૂર્ણ થયા બાદ અમે કશું કરી શકતા નથી. આ મુદ્દે અમે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીને સવાલો કર્યો તેમણે કહ્યું, પક્ષ તરફથી ક્યાંય ભૂલ થઈ હશે, પક્ષના કોઈ આગેવાને કરી હશે, પક્ષના કોઈ સ્થાનિક પદાધિકારીએ કરી હશે તો તેને કોઈ પદ પર રાખવામાં નહીં આવે. કારણ કે હજારો કાર્યકરોની મહેનત લાગી હોય, હજારો મતદારો મતાધિકાર ગુમાવી દેતા હોય એવા સંજોગોમાં કોંગ્રેસની જવાબદારી બને છે કે આવું ખોટું થયું હોય તો ચલાવી લેવાય નહીં. જો કે હાઇકોર્ટ જવાનો દાવો કરતી કોંગ્રેસ અરજી ક્યારે કરશે એ મોટો સવાલ છે. કારણ કે બિનહરિફ ઉમેદવારોને ચૂંટણી અધિકારીએ સર્ટિફિકેટ આપી દીધા છે અને ભાજપ ગણદેવી પાલિકા પર સત્તા મેળવી ચૂક્યું છે. અગાઉ રાજ્યસભાની ચૂંટણીમાં એવું બની ચૂક્યું હતું કે કોંગ્રેસ ગેરરીતિના આરોપ લગાવીને ગણતરીના કલાકોમાં જ કોર્ટ તેમજ ચૂંટણીપંચ સુધી પહોંચી ગઈ હોય.
નરનારાયણદેવનાં 203માં પાટોત્સવની ઉજવણી:અન્નકૂટ ઉત્સવમાં ભાવિકોની ભક્તિ છલકાઇ
ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે નરનારાયણદેવનાં 203મા પાટોત્સવ ઉજવાયો હતો. શ્રીહરિસ્મૃતિ પંચાહ્નપારાયણ જ્ઞાન યજ્ઞ અંતર્ગત પોથી યાત્રા યોજાઇ હતી. કથાના સમાપને મહા અભિષેક, અન્નકુટ ઉત્સવ, ઠાકોરજીની શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ પ્રસંગે ધર્મકુળ આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભુજ, અંજાર, ગાંધીધામ, અબડાસા, રાપર , મુન્દ્રા તેમજ ચોવીસીના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો અભિષેક અને અન્નકુટ દર્શનનો લાભ લેવા ઉમટ્યા હતા. મંદિરનાં મુખ્ય કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવજીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગવતની આજ્ઞાથી નરનારાયણ દેવનાં 203માં પાટોત્સવના મુખ્ય યજમાન તરીકે મૂળ માધાપર હાલે બોલ્ટન લંડનના અ.નિ. વિશ્રામભાઈ કાનજી વરસાણી તથા અ.નિ. ખીમજીભાઈ હીરા વાગડીયા પરિવારના અક્ષરનિવાસી ભક્તોની સ્મૃતિમાં નાનદાસભાઈ સામજી વરસાણી સહ પરિવારે મુખ્ય યજમાન પદ સ્વીકાર્યું હતુ. સભાનું સંચાલન શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી અને કૃષ્ણવિહારીદાસજીએ કર્યુ હતું. કથા દરમ્યાન ધામધૂમથી ઘનશ્યામ જન્મોત્સવ, શ્રીહરિ ભુજ આગમન, ફૂલદોલોત્સવ, ઠાકોરજીની શોભાયાત્રા સહિત પ્રસંગોની ઉજવણી કરાઇ હતી. ઉજવણીનાં સમાપને વહેલી સવારે વિધિવિધાન સાથે પંચામૃતથી ઠાકોરજીનો મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. બાદમાં અન્નકૂટ ઉત્સવની ઉજવણી કરાઈ હતી. મહોત્સવને સફળ બનાવવા માટે કોઠારી સ્વામી ગોલોકવિહારી દાસજી, મુખ્ય કોઠારી રામજીભાઈ વેકરીયા, ઉપકોઠારી જાદવજીભાઈ ગોરાસીયા, ટ્રસ્ટીઓ ખીમજી ભગત, દિનેશ ભગત, ઘનશ્યામવલ્લભદાસજી, પુરૂષોત્તમપ્રિય દાસજી, શ્રીહરિપ્રસાદ દાસજી, વિજ્ઞાન દાસજી, ભક્તિપ્રકાશ દાસજી, પુરૂષોત્તમ સ્વરૂપદાસજી, કૃષ્ણવિહારી દાસજી, શાન્તિસ્વરૂ પદાસજી, નંદકિશો રદાસજી, ઘનશ્યામ ચરણદાસજી, ગોવલ્લભ દાસજી, દિવ્યપ્રસાદ દાસજી, વિવેકસાગર દાસજી, જગજીવન દાસજી, ઘનશ્યામ પ્રકાશદાસજી, બ્રહ્મવિહારી દાસજી, જ્ઞાનસ્વરૂપ દાસજી, જ્ઞાનપ્રિય દાસજી, નિલકંઠસ્વરૂપ દાસજી, ઘનશ્યામચરણ દાસજી, ઘનશ્યામસેવક દાસજી, પ્રેમવલ્લભ દાસજી આદિ સંતો, કચ્છ નરનારાયણ દેવ યુવક, યુવતી અને મહિલા મંડળે જહેમત ઉઠાવી હતી. શોભાયાત્રામાં મહિલા બેન્ડે આકર્ષણ જમાવ્યુંકથા પ્રારંભ પૂર્વે સ્મૃતિ મંદિરથી વાજતે-ગાજતે નીકળેલી પોથીયાત્રામાં સંતો, સાંખ્યયોગી બહેનો જોડાયા હતાં. પટેલ ચોવીસીની મંડળીએ કીર્તનની રમઝટ બોલાવી હતી જ્યારે મહિલા બેન્ડ અને પાઇપ બેન્ડે આકર્ષણ જમાવ્યું હતું. કથાનાં વક્તા તરીકે શાસ્ત્રી સ્વામી આનંદવલ્લભદાસજી, શાસ્ત્રી સ્વામી પ્રેમવલ્લભદાસજી, શાસ્ત્રી સ્વામી કૃષ્ણવલ્લભદાસજીએ કથાનું રસપાન કરાવ્યુ હતું.
કચ્છમાં ભારતીય સેનાનું શક્તિ પ્રદર્શન:સેનાએ જમીન અને જળના મોરચાઓ પર સૈન્ય વ્યૂહરચનાઓ પ્રદર્શિત કરી
ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ પહેલા કચ્છમાં ભારતીય સેનાએ પોતાની શક્તિ, તૈયારીઓ અને આધુનિક યુદ્ધક્ષમતાનું પ્રભાવશાળી પ્રદર્શન કરીને વિશ્વપટલ પર સંદેશ મૂક્યો છે કે દેશની સુરક્ષા માટે તે સર્વદિશામાં સજ્જ છે. એર ડિફેન્સ રેજિમેન્ટ દ્વારા L70 એર ડિફેન્સ ગન અને ડ્રોન ટેકનોલોજીના પ્રદર્શન સાથે દુશ્મનના સંભવિત હુમલાઓને નિષ્ફળ બનાવવાની ક્ષમતા પણ રજૂ કરાઈ હતી. ડ્રોન ટેકનોલોજીના વધતા પ્રભાવ વચ્ચે સેનાએ દેખરેખ, લક્ષ્ય ઓળખ અને જેતે સમયની ગુપ્ત માહિતી એકતરીત કરવાની ક્ષમતાને વધુ મજબૂત બનાવી હતી. સાથે જ એર ડિફેન્સ સિસ્ટમ્સના ઝડપી પ્રતિસાદ આપવાની ક્ષમતા પણ સામે આવી હતી. કવાયતથી જમીન અને જળ બંને મોરચે સૈન્ય વ્યૂહરચનાઓનું પ્રદર્શન કરાયું, જેમાં ઓપરેશન સિંદૂર દરમિયાન સેનાએ ખાડી વિસ્તારમાં જમીન અને પાણી બંને પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું.
આગ લાગી:દયાપર-દોલતપર હાઇવે પર ટ્રકમાં અચાનક આગ લાગી
દયાપરથી એકાદ કિલોમીટરના અંતરે દોલતપર તરફથી આવી રહેલા ટ્રકમાં અચાનક આગ લાગી હતી. હાઈવે માર્ગ પર આવેલા પોલીસ મથક નજીક બુધવારે સવારે દસેક વાગ્યાના અરસામા બનાવ બન્યો હતો. ચિનાઈ માટીના પાઇપ ભરેલ ટ્રકમાં આગના બનાવને લઈને જીએમડીસી પાનધ્રો તેમજ ઉંમરસરમાં જાણ કરતા ફાયર ફાઈટર દોડી આવ્યા હતા. અને સળગતી ટ્રક પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. હાઇવે માર્ગ પર બનેલા બનાવને લઈને રસ્તાની બંને તરફ વાહનોને લાંબી કતાર લાગી ગઈ હતી. બનાવને પગલે દયાપર પોલીસ જવાનો પણ દોડી આવ્યા હતા. આગનો બનાવ ગાડીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે બંને હોવાનું લોકોએ જણાવ્યું હતું. ટ્રકના આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો.
મુસાફરોમાં ફફડાટ ફેલાયો:ભુજ-નલિયા ST બસમાં ખિસ્સાકાતરૂનો ઉપદ્રવ : 3 દિવસમાં 3 મોબાઈલ ચોરાયા
કચ્છમાં વેકેશન અને ધાર્મિક ઉત્સવોની મોસમ શરૂ થતા જ બહારગામથી આવતા પ્રવાસીઓની ભીડનો લાભ લેવા ખિસ્સાકાતરૂ ટોળકી સક્રિય બની છે. ખાસ કરીને ભુજથી નલિયા જતી એસટી બસોમાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ મોબાઈલની ચોરી થતા મુસાફરોમાં ફફડાટ ફેલાયો છે. આ અંગેની એક ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જેમાં મુસાફરોને સાવચેત રહેવા અને પોલીસ ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી છે. હાલમાં મુંબઈ સ્થિત કચ્છી માડુઓ વેકેશન અને સામાજિક પ્રસંગો માટે વતન આવી રહ્યા છે. મુંબઈથી ટ્રેન દ્વારા વહેલી સવારે ભુજ રેલવે સ્ટેશન ઉતર્યા બાદ મુસાફરો અબડાસા જવા માટે એસટી બસ સ્ટેશન પહોંચે છે. લાંબી મુસાફરીના થાકને કારણે મુસાફરો અસાવધ હોય છે, જેનો લાભ ખિસ્સાકાતરૂઓ ઉઠાવે છે. બસોની સંખ્યા મર્યાદિત હોવાથી ભીડનો લાભ લઈ ગઠિયાઓ નજર ચૂકવી મોબાઈલ અને કિંમતી સામાન સેરવી લે છે. ચોરીનો ભોગ બનનારા મોટાભાગના મુસાફરો બહારગામના હોવાથી પોલીસ સ્ટેશનના ધક્કા અને કાયદાકીય ગૂંચવણથી બચવા ફરિયાદ કરવાનું ટાળે છે. મુસાફરોને કયા પોલીસ મથકે જવું તેની જાણકારી હોતી નથી, પરિણામે ગઠિયાઓને મોકળું મેદાન મળી રહ્યું છે. વાયરલ ઓડિયોમાં પણ ઉલ્લેખ છે કે અનેક ઘટનાઓ છતાં હજુ સુધી સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.જો એસટી વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા વહેલી સવારે બસ સ્ટેશન પર ચેકિંગ વધારવામાં નહીં આવે, તો વતનમાં આવતા પ્રવાસીઓમાં કચ્છની સુરક્ષા અંગે ખરાબ છાપ ઊભી થશે તેવી દહેશત સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. સાવચેતીની અપીલ
વિશ્વાસઘાત:ભાડાના બહાને સેન્ટરિંગનો સામાન મેળવી વેપારી સાથે વિશ્વાસઘાત કરાયો
સેન્ટ્રીંગનો સામાન ભાડે રાખવાના બહાને છેતરપીંડી કરવામાં આવી છે. ગણેશનગર વિસ્તારમાં રહેતા અને સેન્ટ્રીંગના વ્યવસાય સાથે સંકળાયેલા મુળજીભાઈ વેલજીભાઈ વેકરીયાએ આ મામલે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, તેઓ કાન્તાબેન ગોરસિયાના પાવરનામું ધરાવીને સેન્ટ્રીંગનો વ્યવસાય સંભાળે છે અને મિરઝાપર હાઈવે પર આવેલી તેમની ઓફિસથી સામાન ભાડે આપવાનું કામ કરે છે. કોટડા ચકાર ગામનો રહેવાસી કાનજીભાઈ ખીમજીભાઈ મહેશ્વરી છેલ્લા ચાર વર્ષથી ફરિયાદી પાસેથી સેન્ટ્રીંગનો સામાન ભાડે લઈ જતો હતો. ગત ઓગસ્ટ 2025માં આરોપીએ અંજાર, ચકાર અને શેખપીર જેવા સ્થળોએ બાંધકામ ચાલતું હોવાનું જણાવી લોખંડની પ્લેટો સહિતનો અંદાજે રૂપિયા 3.50 લાખની કિંમતનો સામાન ભાડે લીધો હતો. આ સામાન ઓક્ટોબર 2025 સુધીમાં પરત કરવાનો હતો, પરંતુ આરોપીએ સામાન પરત કરવાને બદલે ગલ્લાતલ્લાં શરૂ કર્યા હતા. ભાડા પેટે લીધેલો સામાન પરત ન કરી અને ભાડાની રકમ પણ ન ચૂકવી આરોપીએ વેપારી સાથે પૂર્વયોજિત કાવતરું રચી 3.50 લાખનો સામાન અને 35 હજાર ભાડું મળી 3.85 લાખની છેતરપિંડી આચરી હતી. આ મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઉઘરાણી માટે ફોન કર્યા તો ફોન ઉપાડવાનું બંધ કરાયુંફરિયાદીના કર્મચારીઓએ જ્યારે સામાનની ઉઘરાણી માટે ફોન કર્યા ત્યારે આરોપીએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. શંકા જતાં વેપારીના માણસોએ તપાસ હાથ ધરી તો ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી. આરોપી કાનજી મહેશ્વરીએ આ ભાડાનો સામાન પરત કરવાને બદલે અન્ય વ્યક્તિઓને બારોબાર વેચી માર્યો હતો અથવા પધરાવી દીધો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કેટલોક સામાન શીણાઈ પાસેની એક સંસ્થામાં પડ્યો હતો, જ્યારે અન્ય સામાન અન્ય શખ્સોને વેચી દેવામાં આવ્યો હતો.
કરુણાંતિકા:પશ્ચિમ કચ્છમાં આપઘાત-અપમૃત્યુની ઘટનાઓમાં 4 વ્યક્તિના કરૂણ મોત
પશ્ચિમ કચ્છ જિલ્લામાં અકસ્માત મોતના ચાર અલગ-અલગ બનાવો નોંધાયા છે, જેમાં વીજ કરંટ અને ફાંસો ખાવાને કારણે ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારના નાગ્રેચા ગામની સીમમાં એક કરૂણ અકસ્માત સર્જાયો હતો. 60 વર્ષીય કાદર હાસમ માંજોઠી બકરા ચરાવવા માટે સીમમાં ગયા હતા. બકરાના ચારા માટે લીમડાના ઝાડ પર ચઢી ડાળીઓ કાપી રહ્યા હતા ત્યારે ઉપરથી પસાર થતી વીજ લાઇન સાથે સંપર્ક થતાં જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. તેમને સારવાર માટે ગઢશીશા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ગઢશીશા પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ તરફ મુંદરા પોલીસની હદમાં આવતા મોટા કાંડાગરા પાસેની અદાણી કોલોનીમાં રહેતા 23 વર્ષીય મોહમ્મદ સલામ (મૂળ રહે. બિહાર) એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ જ કોલોનીમાં રહેતા 40 વર્ષીય સંજીત બાદલ ઘોષ (મૂળ રહે. પશ્ચિમ બંગાળ) એ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી હતી. મુન્દ્રા પોલીસે બંને બનાવોમાં એડી દાખલ કરી છે. દરમિયાન ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ, જૂની રાવલવાડી વિસ્તારમાં રહેતા 27 વર્ષીય યોગેશ રવજી સોલંકી નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે રાત્રિના સમયે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી. બનાવ અંગે પોલીસે એડી દાખલ કરીને મોતના કારણો જાણવા માટે તપાસ હાથ ધરી છે
આજના ડિજિટલ યુગમાં જ્યાં લોકોમાં મોબાઈલ સ્ક્રીનનો સમય વધતો જાય છે. જેને લઈને છેલ્લા 5 વર્ષોમાં વાંચનનો ગ્રાફમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. તે વચ્ચે ભુજની સંસ્થા મોટા પબ્લિકેશન્સ પાસેથી ડિસ્કાઉન્ટમાં પુસ્તકો મેળવીને તે જ ભાવે વાચકો સુધી પહોંચાડે છે. તેમણે ગત વર્ષમાં રૂ.1.44 કરોડના પુસ્તકોનું વેંચાણ કરીણે વાંચન સંસ્કૃતિને જીવંત રાખવાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભુજ મીરજાપર રોડ પર આવેલી સહજાનંદ રૂરલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત બુકસ્ટોલ જ્યાં દરેક વયના વાંચકો માટે પુસ્તકો ઉપલબ્ધ છે. જેમાં દેશ દુનિયાના લેખકો, સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો,બાળકો માટે મેગેઝીન સહિતના પુસ્તકો, મેગેઝીન, ડિક્શનરીઓનો સમાવેશ થાય છે. સંસ્થા, માત્ર કચ્છ નહીં પણ સમગ્ર ગુજરાતમાં, મુંબઈ, દિલ્લી સુધી પુસ્તકો કુરિયર કરી મોકલાવે છે. તેમજ રાજ્યની ઘણી શાળાઓની લાઇબ્રેરી સુધી પણ સંસ્થાના પુસ્તકો પહોંચે છે. સંસ્થામાં કાર્યરત પ્રદીપભાઈ જણાવે છે કે, અહીં નૉમિનલ ફી ડિપોઝિટ પર લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેથી વાંચકોને પુસ્તકો અહી જ વાંચી શકે છે. આધુનિક સમયમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાને લીધે છેલ્લા પાંચક વર્ષમાં વાંચનનો ગ્રાફ નોંધપાત્ર રીતે નીચે આવ્યો છે. સામે, ખાસ કરીને યુવાનોમાં સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને પુસ્તકોનો વપરાશમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સંસ્થાએ વર્ષ 2024-25માં રૂ.1.44 કરોડના પુસ્તકોનું વેચાણ કર્યું છે. જેના પરથી એ સાબિત થાય છેકે, લોકો હવે વાંચતા નથી, એવી વાત ઘણી જગ્યાએ સાંભળવામાં આવે છે.ખાસ કરીને મોબાઈલના વધતા ઉપયોગને કારણે, પરંતુ આ માન્યતા સંપૂર્ણ સત્ય નથી. ઘણી વખત લોકો કોઈ ચોક્કસ માહિતી વગર જ આ વાત માની લે છે, જ્યારે હકીકતમાં ઉપલબ્ધ આંકડાઓ તેનો વિરોધ કરે છે. ભારતમાં અંદાજે 1 લાખ કરોડનો પુસ્તક બજાર, વિશ્વમાં 10મું સ્થાનયુનેસ્કો 1995થી આજના દી’એ વર્લ્ડ બુક ડે ઉજવે છે. ઈન્ડિયન બુક્સ માર્કેટ સાઇઝ એન્ડ આઉટલુક રિપોર્ટ મુજબ 2025 દરમિયાન દેશમાં અંદાજે 1 લાખ કરોડ રૂપિયાનાં પુસ્તકો છપાયા અને વેચાણા છે. વર્ષ 2025 દરમિયાન ભારતમાં લગભગ 90 હજાર નવા પુસ્તકો પ્રકાશિત થયા હતા.
વોર્ડ નંબર 16માં જનસભામાં સાંસદ ડો.હેમાંગ જોશીએ વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સામે આક્ષેપો કર્યા હતા. જેમાં વોર્ડ નંબર 16ની અંદર છેલ્લા 30 વર્ષથી વોર્ડ ઓફિસર અને તેનાથી નીચેના અધિકારીઓ સાથે સેટિંગ કરીને યોજનાબદ્ધ રીતે વિકાસ કરવામાં આવતો ના હોવાનું જણાવ્યું હતું. વોર્ડ નંબર 16ની અંદર છેલ્લા 30 વર્ષથી વોર્ડ ઓફિસર અને તેનાથી નીચેના અધિકારીઓ સાથે સેટિંગ કરીને યોજનાબદ્ધ રીતે વિકાસ કરવામાં આવતો નથી. 5 વર્ષ પછી એજ મુદ્દાને ઉછાળીને એક સિનિયર કોર્પોરેટર સત્તા પર આવી જાય છે. પાણી પોલિટિકસ ચાલે છે. પહેલા પાણીની વાલ્વ બંધ કરીને ચાવી ખોઈ નાખવાની. ભાજપના કોર્પોરેટર અધિકારી ફોન કરે તો અધિકારી મળતા નથી. પછી અચાનક કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર આવી જાય એટલે ચાવી પણ મળી જાય અને પાણી પણ આવી જાય. તેમજે લોકોની અંદર એવું આભાસી ચિત્ર ઉભું કરાવવામાં આવે કે ભથ્થુભાઇ આવ્યા એટલે જ પાણી આવ્યું. આવા હથ્થકડ્ડા કરીને વોર્ડ નંબર 16માં તેઓ અત્યાર સુધી શાસનમાં આવી રહ્યા છે. આ જ પ્રકારનો અનુભવ ત્યારે બંગાળમાં ત્યારે મમતા બેનર્જીનો જોયો છે. પાણી પોલિટિકસ ચાલી છે. વોર્ડ ઓફિસર અને તેનાથી નીચેના અધિકારીઓ સાથે ભથ્થુંનું સેટિંગ છે. બંગાળની ચૂંટણી સાથે સાંસદે વડોદરાની ચૂંટણીને પણ જોડીસાંસદ ડો.હેમાંગ જોશીએ ભથ્થુભાઇ આવ્યા એટલે કામ થઇ રહ્યું છે તેવું આભાસી ચિત્ર ઉભું કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે આ જ પ્રકારનો અનુભવ મે બંગાળમાં ત્યારે મમતા બેનર્જીનો જોયો છે. આ પ્રોપોગેન્ડાનું રાજકારણ કરવામાં આવે છે. તમને અહી મત મળી જશે તો ઉપર ભગવાન માફ નહીં કરે. જનતાનો વિકાસ કેવી રીતે અટકી જાય તેવું કામ કરે છે. જનતાની હાય લાગશે. સાંસદની અધિકારીઓને ચીમકી, ચૂંટણી પછી જોઇ લઇશવોર્ડ નંબર 16ના વોર્ડ ઓફિસર અને અધિકારીઓને સાંસદે જાહેર મંચ પરથી ચીમકી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે વોર્ડ નંબર 16ના જે અધિકારીઓને ભથ્થુભાઇ સાથે સેટિંગ છે તે તમામને ચૂંટણી પછી તમને જોઇ લઇશું.
કાર્યવાહી:રાણા બોરડી ગામે ચૂંટણીની આચારસંહિતા ભંગની ફરિયાદમાં તલાટીમંત્રીને નોટિસ
પોરબંદરના રાણા બોરડી ગામે ભૂતપૂર્વ તલાટીમંત્રી સામે ગેરકાયદેસર ગ્રામ પંચાયત પ્રવેશ કરવા બદલ ચૂંટણીની આચાર-સહિતા ભંગની ફરિયાદ થઈ હતી જે બાબતે પોરબંદર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ તલાટીમંત્રીને નોટીસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે. પોરબંદર તાલુકામાં ફરજ બજાવતા તલાટી કમમંત્રી આશિષભાઈ અમલાણી સામે ફોજદારી કેસ દાખલ કરીને સસ્પેન્ડ કરવા સહિત, ચૂંટણી આચાર-સંહિતા દરમિયાન ગેરકાયદેસર રીતે પોતાના ફરજ વિસ્તાર છોડી દેવા અને શિસ્તનું ઉલ્લંઘન કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવા તથા તપાસ કરવા ચૂંટણીપંચ ગાંધીનગર તેમજ ચૂંટણી અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી હતી ત્યારે આ લેખિત ફરિયાદ બાબતે તલાટીમંત્રીને નોટીસ આપવામાં આવી છે. પોરબંદર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી દ્વારા નોટીસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે. ઘટનાને લઇ ભારે ચર્ચા જાગી છે. ચૂંટણીમાં અધિકારી સામે આચાર-સંહિતા ભંગની પ્રથમ ફરિયાદ સામાન્ય રીતે ચૂંટણી દરમ્યાન એકબીજા પક્ષ અને ઉમેદવારો આચાર-સંહિતા ભંગની ફરિયાદ કરતા હોય છે ત્યારે આ ચૂંટણીમાં પોરબંદર જિલ્લામાં તલાટીમંત્રી સામે આચાર-સંહિતા ભંગની પ્રથમ ફરિયાદ થઈ છે.
પોરબંદર જિલ્લા પંચાયતના અનોખો રાજકીય ઇતિહાસ જોવા મળ્યો છે.પોરબંદર જિલ્લા પંચાયત અસ્તિત્વથી અત્યાર સુધી ભાજપનું જ શાસન જોવા મળ્યું છે તો કૉંગ્રેસ તેમજ અન્ય પક્ષ માત્ર વિરોધ પક્ષમાં જ રહ્યો છે.ત્યારે હાલની ચૂંટણીમાં જિલ્લા પંચાયતનો ઇતિહાસ બદલશે કે કેમ તે જોવાનું રહ્યું છે. પોરબંદર જિલ્લાનો વિસ્તાર અગાઉ જૂનાગઢ જિલ્લામાં સમાવેશ થતો હતો ત્યારે 2 ઓક્ટોબર 1997માં પોરબંદર જિલ્લાની જાહેરાત કરી અને અસ્તિત્વમાં આવ્યો હતો ત્યારે પોરબંદર જિલ્લાના અસ્તિત્વ સાથે સાથે પોરબંદર જિલ્લા પંચાયતનું પણ અસ્તિત્વમા આવી હતી ત્યારે આ જિલ્લા પંચાયતમાં પોરબંદર,રાણાવાવ અને કુતિયાણા પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો હતો.પરંતુ પોરબંદર જિલ્લા પંચાયતના અસ્તિત્વથી અત્યારસુધીમાં અનોખો રાજકીય ઇતિહાસ જોવા મળ્યો છે. પોરબંદર જિલ્લા પંચાયતના 29 વર્ષથી ભાજપનું અજય ગઢ જોવા મળી રહ્યો છે.અને કૉંગ્રેસ માત્ર વિરોધપક્ષમાં રહી છે.જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દર વખતે કૉંગ્રેસના માત્ર 2 થી 5 જેટલા સભ્યોની જ જીત થતી હોવાની વિગતો સામે આવી છે ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયતમાં કોનું શાસન રહેશે તે જોવાનું રહ્યું છે. 29 વર્ષ પૂર્વે જિલ્લા પંચાયતમાં 149 ગ્રામ પંચાયતો કાર્યરત હતીપોરબંદર જિલ્લા પંચાયતનું અસ્થિત્વમાં આવી ત્યારે પોરબંદર જિલ્લા પંચાયત હેઠળ હાલમાં 3 તાલુકા પંચાયતો અને 149 ગ્રામ પંચાયતો કાર્યરત હતી.જેમાં પોરબંદર તાલુકા પંચાયતમાં 74 ગ્રામ પંચાયતો,કુતિયાણા તાલુકા પંચાયતમાં 46 ગ્રામ પંચાયતો અને રાણાવાવ તાલુકા પંચાયતમાં 29 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરાયો હતો જોકે હાલ અમુક ગ્રામ પંચાયત મનપામાં સમાવેશ થયો છે.
પોરબંદરમાં મહતમ તાપમાન 36 ડિગ્રી યથાવત રહ્યું છે જ્યારે લઘુતમ તાપમાન 21.5 ડિગ્રી નોંધાયું છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 41 ટકા યથાવત રહ્યું છે, ત્યારે સવાર થી સાંજ ગરમી અને રાત્રે ભેજ વાળું વાતાવરણ રહે છે. પોરબંદરમાં ઉનાળાએ હવે પોતાનું અસલી સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું છે. બુધવારે મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુતમ 21.5 ડિગ્રી નોંધાતા દિવસ-રાતના માહોલમાં ફેરફાર જોવા મળ્યો હતો.બપોરના સમયે કાળઝાળ ગરમી અને તાપના કારણે રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા. આકરા તાપનો કારણે લોકો પસીને રેબઝેબ થતા નજરે ચડ્યા હતા અને લોકો છાંયો અને ઠંડક શોધતા નજરે પડ્યા હતા. વાતાવરણમાં 41 ટકા ભેજના પ્રમાણને કારણે ગરમી સાથે ઉકળાટનો અનુભવ પણ થયો હતો, જોકે, સાંજ બાદ હળવા પવન સાથે થોડી રાહત મળી હતી અને રાત્રે ભેજભરી ઠંડક ભર્યું વાતાવરણ અનુભવાયું હતું, શહેરમાં હાલ ગરમી-રાહતનો મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે.
પોરબંદર મહાનગરપાલિકાની વોર્ડ નંબર 1 થી 13 ની ચૂંટણી તા. 26 એપ્રિલના રોજ યોજાવાની છે, ત્યારે શહેરમાં એક મહત્વનો નાગરિક મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વોર્ડની સીમા દર્શાવતા જાહેર બોર્ડ હાલ જોવા મળતા નથી, જેના કારણે નાગરિકોમાં ગૂંચવણ ઊભી થઈ રહી છે. પોરબંદરમાં સામાજિક કાર્યકર અતુલ વી. પોરિયાએ આ મુદ્દે મહાનગરપાલિકાને રજૂઆત કરી છે કે, અગાઉ દરેક વોર્ડના પ્રારંભ અને અંત દર્શાવતા બોર્ડ મૂકવામાં આવતા હતા, પરંતુ હાલમાં આ વ્યવસ્થા ગાયબ થઈ ગઈ છે. પરિણામે, સામાન્ય નાગરિકોને પોતાનું ઘર કે દુકાન કયા વોર્ડમાં આવે છે તેની સ્પષ્ટ માહિતી તરત મળતી નથી. આવા બોર્ડ માત્ર ઓળખ માટે જ નહીં પરંતુ ચૂંટણી સમયે મતદારો માટે માર્ગદર્શનરૂપ સાબિત થાય છે. વોર્ડની ચોક્કસ સીમા જાણવાથી લોકો પોતાનો મત વિસ્તાર સરળતાથી સમજી શકે છે અને જરૂરી શાસકીય સેવાઓ મેળવવામાં પણ સહાય મળે છે. આથી પબ્લિક હિતને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 1 થી 13 સુધી તમામ સીમા પર નિયમ મુજબ તાત્કાલિક જાહેર બોર્ડ મુકવામાં આવે તેવી માંગ કરી છે. ચૂંટણીના આ તબક્કે આવી વ્યવસ્થા અમલમાં આવે તો તે નાગરિક સુવિધા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવું પણ જણાવ્યું હતું. મનપા દ્વારા નવા સીમાંકન બાદ બોર્ડ ન મુકાયામનપા બન્યા બાદ નવા 4 ગામનો સમાવેશ થયો છે અને નવું સીમાંકન બનાવવામાં આવ્યું છે. સીમાંકન તૈયાર થયા બાદ વોર્ડની બોર્ડર પર બોર્ડ મારવા જોઈએ પરંતુ ચૂંટણી નજીક હોવા છતા જાણકારી માટે બોર્ડ મારવામાં આવ્યા નથી.
ફરિયાદ:કાર વેચાણ સોદો રદ કરતા 3 શખ્સે ઘરે જઈ આધેડને ધમકી આપી
શહેરમાં કાર વેચાણ સોદો રદ થતા 3 શખ્સે આધેડના ઘરે જઈ ધમકી આપી હતી. શહેરમાં મીરાનગર પાછળ આવેલ યશોદા પાર્કમાં રહેતા 52 વર્ષીય ગીરીશભાઈ નરોત્તમભાઈ વાઘેલાએ પોતાની જીજે 03 એલબી 5685 નંબરની કાર ખલીલપુર રોડ વિસ્તારમાં રહેતા બ્રીજેશ વિજયભાઈ યાદવને રૂ. 5,17,000માં વેચવાનું નક્કી કર્યું હતું. જોકે, બ્રીજેશે માત્ર રૂ. 87,000 ચૂકવ્યા હતા અને બાકીની રકમ લાંબા સમય સુધી ન ચૂકવતા સોદો પૂર્ણ થયો ન હતો. આ દરમિયાન કાર હજુ પણ ગીરીશભાઈના નામે જ હોવાથી અને અન્ય લોકો તે ફેરવતા હોવાનું જણાતા, તેઓએ પોતાની કાર પરત મેળવી લીધી હતી. આ બાબતનો ખાર રાખીને ગત તા. 16 એપ્રિલના રોજ વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં બ્રીજેશ યાદવ, દોલતપરામાં રહેતા રામભાઈ રામદેભાઈ ઓડેદરા અને સલીમભાઈ નામના ત્રણ શખ્સો આધેડના ઘરે પહોંચ્યા હતા. શખ્સોએ ઘરનો દરવાજો જોરજોરથી ખખડાવી ગાળાગાળી કરી હતી. ગીરીશભાઈ બહાર આવતા જ શખ્સોએ ઉશ્કેરાઈને કહ્યું હતું કે, 'તમે સોદો કેન્સલ કરી મોટી ભૂલ કરી છે, હવે ઘરની બહાર નીકળશો તો જીવતા નહીં મૂકીએ.’ એવી ધમકી આપતા ગીરીશભાઈએ તુરંત 112 પર પોલીસને જાણ કરતા ત્રણેય શખ્સ નાસી છૂટ્યા હતા. સી ડિવિઝન પોલીસે આધેડની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
ધરપકડ:સગીરાનાં અપહરણનો આરોપી 4 વર્ષે ઝડપાયો
બાંટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં છેલ્લા 4 વર્ષથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા આરોપીને ઝડપી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ અને પૅરોલ ફર્લો સ્ક્વોડે ગાંધીનગરથી ભોગ બનનાર સાથે દબોચી લઈ આગળની કાર્યવાહી કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખીને, લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરાયું હતું. ક્રાઈમ બ્રાન્ચની ટીમને તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે વર્ષ 2022ના બાંટવા પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણના ગુનાનો આરોપી માણાવદર તાલુકાના બુરી ગામનો રાજકુમાર ભાણજીભાઈ પારધી ઉં.વ. 25 હાલ ગાંધીનગર જિલ્લાના દહેગામ પાસે કડાદરા જીઆઈડીસીમાં આવેલ 'વીર સાઈન બોર્ડ' નામના કારખાને છુપાયો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ, પેરોલ ફર્લો સ્ક્વોડે દરોડો પાડી આરોપી રાજકુમાર પારધીને દબોચી લીધો હતો. તેની સાથે ગુનામાં ભોગ બનનાર વ્યક્તિ પણ મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ 70 મુજબનું વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. આ કેસમાં વધુ તપાસ માનવ તસ્કરી વિરોધી એકમ ચલાવતી હોવાથી, પકડાયેલા આરોપીને આગળની કાર્યવાહી માટે તેને સોંપી દેવાયો હતો.
કાર્યવાહી:જોડીયાના ચાર શખસની PIT NDPS એકટ હેઠળ અટકાયત
જામનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપ દ્વારા પીઆઇટી એનડીપીએસ એકટ હેઠળ જોડીયાના ચાર શખસોની અટકાયત કરી અમદાવાદ, વડોદરા, સુરત અને ભુજ જેલ હવાલે કરવામાં આવ્યા છે.રાજયના સીઆઇડી ક્રાઇમના વડાએ દરખાસ્તને મંજુર કરતા પોલીસે ચારેયને સંકજામાં લીઘા હતા. રાજયને નશામુકત કરવા ખાસ અભિયાનના અનુસંધાને જિલ્લામાં માદક પદાર્થના વેચાણ અને વહન અંગે કેસો કરવા સાથે આવા ઇસમોને ઝડપી પાડવા તદુપરાંત વારંવાર ગુનાઓ કરતા તત્વો વિરૂધ્ધ પીઆઇટી એનડીપીએસ એકટ મુજબની દરખાસ્ત તૈયાર કરવા જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી તથા ટીમ દ્વારા એનડીપીએસ એકટ હેઠળના ગુનામાં સંડોવાયેલા જોડીયાના ચાર શખસો વિરૂધ્ધ પુરતા પુરાવા મેળવી દરખાસ્ત તૈયાર કરી પોલીસ વડા મારફતે પોલીસ મહાનિદર્શેક, સીઆઇડી ક્રાઇમ,ગુજરાત સમક્ષ મોકલવામાં આવી હતી. જે દરખાસ્તને મ઼જુરીની મ્હોર મળતા એસઓજી પોલીસે જોડીયાના મોટા વાસ વિસ્તારમાં રહેતા ફરીદ બસીરભાઇ ખોડ, અજીજ મામદભાઇ ગાધ, અસગર ગનીભાઇ પલેજા, નુરમામદ ઉર્ફે નૂરો સિદીકભાઇ છરૈયાને સકંજામાં લીઘા હતા. પોલીસે ચારેય શખસોને અટકાયત લઇ અમદાવાદ, વડોદરા, સુરત અને ભુજ મધ્યસ્થ જેલ હવાલે કરવા માટે તજવિજ હાથ ધરી છે. PIT NDPS અધિનિયમ હેઠળ કેવી રીતે કાર્યવાહી... પોલીસસુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ પીઆઇટી એનડીપીએસ અધિનિયમ હેઠળ આવા વ્યકિતઓને પુર્વગામી અટકાયત હેઠળ રાખી શકાય છે,જેથી તેઓ નશીલા પદાર્થના વેચાણ, ખરીદી,વહન અથવા સંગ્રહ જેવી પ્રવૃતિઓમાં જોડાય નહી,જેલમુકત થયા બાદ આવા લોકો ફરીવાર નશીલા પદાર્થની પ્રવૃતિઓમાં સક્રિય થઇ શકે તેમ છે તેવુ જણાય તેવા સમયે કાર્યવાહી કરવામાં આવે છે.
મુલાકાત:જામ્યુકોના 16 વોર્ડની મત ગણતરી હરીયા કોલેજમાં થશે, કલેકટરે સ્થળ નિરીક્ષણ કર્યુ
જામનગર મહાનગર પાલિકા વિસ્તારના મતગણતરી સ્થળ હરિયા કોલેજ ખાતે જિલ્લા ચુંટણી અધિકારીએ મુલાકાત લઇ સ્ટ્રોંગરૂમ અને કાઉન્ટીંગ હોલ સહીત અન્ય તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. સંબંધિત અધિકારીઓ અને જે તે વોર્ડના ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. જીલ્લા કલેકટરે સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઇ જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ ઉભી કરવા જણાવ્યું હતું. તેમજ સીસીટીવી મોનિટરિંગ સિસ્ટમનું નિરીક્ષણ કર્યું હતું. વિવિધ વોર્ડ પ્રમાણે તૈયાર કરવામાં આવેલા મતગણતરી હોલની મુલાકાત કરી તેઓએ ટેબલોની ગોઠવણી, ગણતરી એજન્ટો માટેની બેઠક વ્યવસ્થાની ચકાસણી કરી હતી. આ ઉપરાંત મીડિયા સેન્ટર, ઓબ્ઝર્વર રૂમમાં પણ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા લગત અધિકારીઓને જણાવ્યું હતું. ચૂંટણી અધિકારીએ મતગણતરીની પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણીપંચની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરે તે પ્રમાણે જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ચૂંટણી અધિકારીએ મત ગણતરી સ્થળ પર જરૂરી વ્યવસ્થાઓ જેમ કે, પીવાનું પાણી, વીજળી મેડિકલ ટીમ, પાર્કિંગ, સુરક્ષા વ્યવસ્થા સહીતની જરૂરી તમામ વ્યવસ્થાઓ ઉભી કરવા સૂચનો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આગામી તા.26 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. તેમજ તા.28 એપ્રિલના રોજ સવારે નવ કલાકથી મતગણતરી શરુ થશે. જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.1થી 16ની મત ગણતરી હરિયા કોલેજ ખાતે યોજાશે. જિ.પં.-તાંં.પંચાયતો માટે મતગણતરી કેન્દ્રોસિક્કા નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી ડીસીસી ટેકનીકલ હાઈસ્કુલ, જામનગર જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોમાં મતગણતરી સ્થળ જેમાં જામનગર ગ્રામ્યમાં ઓશવાળ ઈંગ્લીશ એકેડમી ખાતે, કાલાવડ તાલુકામાં મ્યુનીસીપલ હાઈસ્કુલ ખાતે, જામજોધપુર તાલુકામાં ઇવીડીએસ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે, ધ્રોલ અને જોડિયામાં મતગણતરી હરધ્રોળ હાઈસ્કુલ ખાતે, લાલપુર તાલુકામાં સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મતગણતરી યોજવામાં આવશે.
ફરિયાદ:જામનગરમાં બ્રાસપાર્ટના વેપારીને રૂા. 95 લાખની ઉઘરાણી મામલે 8 શખ્સોનો ત્રાસ
જામનગરમાં વેપારીને 95 લાખની ઉઘરાણી મામલે મારકૂટ કરી તેની પત્નીના 22 કોરા ચેક લખાવી લીધાની પોલીસ ફરિયાદ થતા પોલીસે 8 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જામનગરના કૈલાશનગર શેરી નં.5, હરીયા કોલોજ ની બાજુમાં રહેતા નરેશભાઈ વીરજીભાઈ મેંદપરા નામના ઉ.વ.43 વર્ષીય વેપારીએ આરોપી વિશાલ લગારીયા, નીલેશ ડાંગર, સુભાષ રાવલીયા, સાગર કંડોરીયા, ચેતન રાવલીયા, જયદીપ લગારીયા, દીવુભા અને સાગર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ઉલ્લેખ કરાયા અનુસાર શંકરટેકરીમાં ફરિયાદી પોતાના ભત્રિજા હાર્દિકભાઈ ભાણજીભાઇ મેંદપરાની કારખાનામાં બેસી અને ત્યાથી બ્રાસપાર્ટના માલનો ભંગારનો કમીશન પેટે વેપાર કરતો હતો. આ દરમિયાન ફરીયાદી વેપારીએ વિશાલ લગારીયા, નીલેશ ડાંગર તથા સુભાષ રાવલીયા પાસેથી રૂ.65 લાખ ભંગારનો માલ લીધેલ તેમજ રૂ.30લાખનો ચેતનભાઇ રાવલીયા તથા સાગરભાઇ કંડોરીયા પાસેથી ભંગારનો માલ લીધો હતો. જે રૂપીયા પૈકી કુલ રૂ.10 લાખ વીશાલભાઇ તથા જયદીપભાઇને આપેલ હોય તેમ છતા વીશાલ, નીલેશ ડાંગર , ચેતન રાવલીયા, સુભાષ રાવલીયા અને જયદીપ લગારીયા , દીવુભા તથા અન્ય સાગરભાઇ બધાય ભેગા મળી ફરીયાદી પાસેથી અવાર નવાર રૂપીયાની ઉધારણી કરી ફરીયાદીને ઢીકાપાટુનો ઢોર માર મારી તેમની પાસેથી કુલ-22 કોરા ચેકો તેમના તેમજ ફરીયાદીની પત્નીના સહી વાળા બળજબરી પુર્વક ભયમાં ભુકી તેમની પાસેથી લઇ ગયા હતા. તેમજ જો રૂપીયા ન આપે તો છોકરાઓને ઉપાડી જવાની ધાક ધમકીઓ આપી સુભાષએ સી.સી.ટીવી કેમેરો તોડી નુકશાની કરી હતી. જેથી નરેશભાઈ મેદપરા દ્વારા આ મામલાને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસે તમામ આઠ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગર મહાનગર પાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા/તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી-2026 અન્વયે કુલ 23 ચૂંટણી અધિકારીઓને 2137 ઈ.વી.એમ. ફાળવવામાં આવ્યા છે. જેના કમિશનિંગની પ્રક્રિયા 100% પૂર્ણ કરવામાં આવી છે. જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં કુલ 474 ઈવીએમ પૈકી વોર્ડ નં.1 થી 4માં 112 ઈવીએમ, વોર્ડ નં.5 થી 8માં 115 ઈવીએમ, વોર્ડ નં.9 થી 12માં 126 ઈવીએમ, વોર્ડ નં.13થી 16માં 121 ઈવીએમ ફાળવવામાં આવ્યા છે. જેના કમિશનિંગની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. સિક્કા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નં.1થી7માં 31 ઈવીએમના કમિશનિંગની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. જામનગર જિલ્લા પંચાયત માટે 808 અને તાલુકા પંચાયતો માટે ફાળવવામાં આવેલ 824 ઈવીએમના કમિશનિંગની પ્રક્રિયા 100% પૂર્ણ થઇ છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રવિવારે યોજાનારા મતદાન માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ઝુંબેશ:નિબંધ, કિવઝ, રેલી સહિત વિવિધ કાર્યક્રમો થકી છાત્રોએ મતદાન કરવા મતદારોને જાગૃત કર્યા
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી અંર્તગત આગામી 26મી એપ્રિલને રવિવારે મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને જામનગર જિલ્લામાં સ્વીપ એક્ટિવિટી હેઠળ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી.પંડયાના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટીના ભાગરૂપે લોકો માટે લોકશાહી મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવા અને મતદાનનું મહત્વ સમજાવવા માટે વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત જિલ્લાની શાળાઓ જેમાં ખંઢેરા તાલુકા શાળા, ડીએચકે મુંગરા કન્યા વિદ્યાલય ધ્રોલ, યુપીવી કન્યા વિદ્યાલય જોડિયા, સતાપર કન્યા શાળા, નિકાવા તાલુકા શાળામાં ક્વિઝ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, શપથ વિધિ તેમજ જાગૃતિ રેલી જેવા કાર્યક્રમો યોજાયા હતાં. શપથ વિધિ દરમિયાન છાત્રોએ પોતાના પરિવારને મતદાન કરાવવા અંગે તથા શિક્ષકોએ નિષ્પક્ષ, નિર્ભય અને જવાબદારીપૂર્વક મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. છાત્રો દ્વારા જાગૃતિ રેલીમાં સૂત્રોચારો કરાયા હતાં. શહેરના આણદાબાવા વૃદ્ધાશ્રમમાં મહિલાઓએ મતદાનના શપથ લીધા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીના અનુસંધાને જામનગરમાં 26મી એપ્રિલે મતદાન યોજાશે.વધુમાં વધુ લોકો મતદાન કરે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે ઝુંબેશ ચલાવાઇ રહી છે. ત્યારે આણદાબાવા મહિલા વૃદ્ધાશ્રમ ખાતે મહિલાઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ.જેમાં વૃદ્ધાશ્રમના મહિલાઓને મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ઉપરાંત મતદાન કઈ રીતે કરવું તે અંગે માર્ગદર્શન આપી મતદાનનું મહત્વ સમજાવાયુ હતુ.
આદેશ:26 એપ્રિલે મતદાન માટે કર્મીઓનેસવેતન રજા આપો: જિલ્લા કલેક્ટર
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈ જિલ્લા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 26 એપ્રિલ, રવિવારના રોજ યોજાનાર મતદાન દરમિયાન કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવા જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારીએ આદેશ કર્યો છે. અમરેલી જિલ્લામાં જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત તેમજ અમરેલી, સાવરકુંડલા, બગસરા, બાબરા, દામનગર અને ધારી સહિત કુલ 6 નગરપાલિકા માટે મતદાન યોજાવાનું છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી વિસ્તારમાં કાર્યરત વિવિધ સંસ્થાઓને કર્મચારીઓને મતદાન માટે ચૂંટણી વિસ્તારમાં આવેલી દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, કારખાનાઓ તેમજ હોસ્પિટલોમાં કાર્યરત કર્મચારીઓ અને કામદારોને મતદાન માટે પૂરતો સમય આપવા જિલ્લા કલેકટરે હુકમ કર્યો છે. મતદાનના દિવસે કર્મચારીઓને સવેતન રજા આપવા અથવા નોકરીના સ્થળે મોડા આવવા તેમજ વહેલા જવાની મંજૂરી આપવી પડશે, જેથી દરેક મતદાર સરળતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે તમામ સંસ્થાઓને આ સૂચનાનું પાલન કરવાની તેમજ મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવાની અપીલ કરી છે.
ધરપકડ:સાવરકુંડલામાં આઈપીએલ મેચ પર સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો: 3 ફરાર
સાવરકુંડલા શહેરમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટાનો જુગાર રમી અને રમાડતા એક શખ્સને અમરેલી એલ.સી.બી. ટીમે ઝડપી પાડી કાર્યવાહી કરી છે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા 1 લાખ કરતા વધુનો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી કરી છે. અમરેલી એલ.સી.બી. ટીમે જુગાર પ્રવૃત્તિ કરતા તત્વો પર નજર રાખી કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમ્યાન મળેલી બાતમીના આધારે એલ.સી.બી.ના પીઆઈ સી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ ટીમે સાવરકુંડલા ટાઉનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં આઈ.પી.એલ.માં સનરાઈઝ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ચાલી રહેલી લાઈવ મેચ પર એન્ડ્રોઇડ મોબાઈલમાં ઓનલાઇન એપ્લિકેશન મારફતે રનફેરનો ભાવ આપી ક્રિકેટ સટ્ટો ચલાવતા નૂરાનીનગરમાં રહેતા રૂસ્તમ ઉર્ફે બાવલો હબીબભાઈ કુરેશી (ઉ.વ.37) ને ઝડપી પાડ્યો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા મહુવાના જીતુ મગનભાઈ મારૂ, મહેશ જેન્તીલાલ મહેતા અને સાદીક કરીમભાઈ સોરઠીયા નાસી જવામાં સફળ રહ્યા હતા. જેને ઝડપી પાડવા પોલીસે કવાયત શરૂ કરી છે. પકડાયેલા શખ્સ પાસેથી રૂપિયા 23 હજાર 500 રોકડા, રૂપિયા 1 લાખનો મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1 લાખ 23 હજાર 505નો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ચકચાર:બાબરામાં બ્યુટી પાર્લર સંચાલિકાએ ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો
બાબરા પોલીસ લાઇન પાછળ રહેતી એક મહિલાએ પાડોશીઓ દ્વારા કરવામાં આવતી ગાળો અને ધમકીથી કંટાળી ફીનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. મહિલાને ઉલ્ટી-ઉબકા થવા લાગતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. બાબરા ખાતે રહેતી અલ્પાબેન મહેન્દ્રભાઇ કાલાવડીયા (ઉ.વ.37) બ્યુટી પાર્લરનો વ્યવસાય કરે છે. અલ્પાબેનની બહેનપણીને શંકા હતી કે અલ્પાબેન તેના પતિ સાથે ફોન પર વાત કરે છે. આ બાબતે બંને વચ્ચે ચર્ચા બાદ સમાધાન થઈ ગયું હતું. પરંતુ બાદમાં અલ્પાબેનની બહેનપણીના મકાન માલિક મંગુબેન વારંવાર અલ્પાબેનને ખરાબ ગાળો આપતા અને આવા પાડોશી બાજુમાં ન રહેતા સારું કહીને હેરાન કરતા હતા. સાથે જ મંગુબેનની દીકરી દ્વારા પણ ફોન કરી મંગુબેનને કંઈ થશે તો સારું નહીં રહે તેવી ધમકી આપવામાં આવતી હતી. આ સતત ત્રાસથી વ્યથિત થઈ અલ્પાબેને ગઈ કાલે બપોરે લગભગ એક વાગ્યે મંગુબેનના ઘરે જઈ ફીનાઇલ પી જતા તેમને ઉલ્ટી-ઉબકા થવા લાગતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે જાણ કરતા બાબરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલીની અગ્રણી શૈક્ષણિક સંસ્થા ગજેરા કેમ્પસ–વિદ્યાસભા સ્કૂલ ખાતે તારીખ 22 થી 25 એપ્રિલ 2026 દરમિયાન ઇન્ટર DLSS શૂટિંગ લીગ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સ્પર્ધાનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ગજેરા કેમ્પસ વિદ્યાસભા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા રમત વિકાસ અધિકારી પૂનમબેન ફૂમકિયા, સંસ્થાના મંત્રી ચતુરભાઈ ખૂંટ અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ ખેલાડીઓને ઉત્તમ પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓમાં સ્પર્ધા પ્રત્યે ઉત્સાહ અને આત્મવિશ્વાસમાં વધારો થયો હતો. સાથે સાથે સંસ્થાના ટ્રસ્ટીઓ અને સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને સારા પ્રદર્શન અંગે શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી.
ખળભળાટ:અમરેલીમાં યુવાને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
અમરેલી શહેરના કેરિયારોડ વિસ્તારમાં આવેલી શિવપાર્ક સોસાયટીમાં રહેતા એક યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ગઈકાલે સવારે આશરે 10:30 વાગ્યા પહેલા કોઈપણ સમયે કેરિયારોડ સ્થિત શિવપાર્ક સોસાયટીમાં જીગ્નેશભાઈ રતિભાઈ કાબરીયાના મકાનમાં ભાડે રહેતા સર્જન રમેશભાઈ ઉર્ફે નગરસીગભાઈ ગણાવા (ઉ.વ.22)એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે મજૂરી કામ કરતા રમેશભાઈ ઉર્ફે નગરસીગભાઈ દાલસિંગભાઈ ગણાવા (ઉ.વ.47) દ્વારા જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં યુવાને આત્મહત્યા કરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
આયોજન:અમરેલી પાલિકાની કે.કે.પારેખ કોર્મસ કોલેજ ખાતે ગણતરી થશે
અમરેલી જિલ્લામાં છ નગરપાલિકાની મતગણતરી સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. અમરેલી પાલિકાની કે.કે.પારેખ કોર્મસ કોલેજ, બાબરા પાલિકાની કે.પી.આશરા ગર્લ્સ હાઈસ્કૂલ, સાવરકુંડલા પાલિકાની નગરપાલિકા કચેરી, ધારી પાલિકાની અરૂણ મુછાળ એન્જીનયરીંગ કોલેજ સરસીયા રોડ, બગસરા પાલિકાની ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલ સ્ટેશન રોડ અને દામનગર પાલિકાની કન્યા પ્રાથમિક શાળા પોલીસ સ્ટેશન સામે મતગણતરી કરાશે. જ્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અમરેલીમાં કમાણી સાયન્સ કોલેજ એન્ડ પ્રતાપરાય આર્ટસ કોલેજ, વડીયામાં અ.હિ.કન્યા વિદ્યાલય, લાઠીમાં પીએમશ્રી કન્યા શાળા મામલતદાર કચેરીની બાજુમાં, બાબરામાં આઈટીઆઈ બાબરા ગ્રાઉન્ડ ફલોર, સાવરકુંડલામાં કે.કે.હાઈસ્કૂલ, લીલીયામાં આઈટીઆઈ, ધારીમાં આરવ મુછાળ ઈન્ટરનેશનલ સ્કૂલ પ્રાર્થના હોલ, બગસરામાં ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલ સ્ટેશન રોડ, ખાંભામાં આઈટીઆઈ, રાજુલામાં ટી.જે.બી.એસ.ગર્લ્સ હાઈસ્કૂલ, જાફરાબાદમાં મોડેલ સ્કૂલ પ્રથમ માળ ખાતે મતગણતરી થશે.
કાર્યવાહી:અમરેલીમાં યુવક પર હુમલો કરનાર આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું
અમરેલી લુખ્ખા ભાનમાં લાવવા બુધવારે અમરેલી પોલીસે કાર્યવાહી કરી હતી. બિનાકા ચોક પાસે એક દુકાનદારને સામાન્ય બાબતે છરીના ઘા જીકનાર શખ્સોની ધરપકડ બાદ સ્થળ પર લાવી પોલીસ દ્વારા રીકન્ટ્રક્શન કરાવાયું હતું. અમરેલી શહેરમાં અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કડક સંદેશ આપતી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના ડીલક્સ પાન નજીક એક્ટિવા અથડાવાની સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ ત્રણ શખ્સોએ દુકાનદાર યુવક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું અને તપાસ હાથ ધરી દાદલીમીયા રફીકમીયા સૈયદ, ઇરફાન રફીકભાઇ સૈયદ અને અજુમ રફીકમીયા સૈયદ સહિત ત્રણેય શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવા માટે જે સ્થળે હુમલો થયો હતો તે જ વિસ્તારમાં આ શખ્સોનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.
વાતાવરણ:અમરેલીમાં પારો 40.7 ડિગ્રીથી આકરો તાપ
અમરેલીમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. આજે મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી નોંધાતા લોકોને ગરમીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ન્યુનત્તમ તાપમાન 22.5 ડિગ્રી નોંધાયું હતું. જેના કારણે રાત્રિના સમયે થોડીક રાહતનો અનુભવ થયો હતો. હવામા ભેજનું પ્રમાણ 65 ટકા નોંધાતા દિવસ દરમિયાન ઉકળાટમાં વધારો જોવા મળ્યો હતો. ભેજના કારણે ગરમી વધુ તીવ્ર લાગતી હતી અને લોકો પરેશાન બન્યા હતા. ખાસ કરીને બપોરના સમયે રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી જોવા મળી હતી. આ ઉપરાંત પવનની ગતિ પ્રતિ કલાક માત્ર 1.2 કિલોમીટર રહી હતી. જેના કારણે હવામાં ઠંડકનો અભાવ રહ્યો હતો. પવનની ધીમી ગતિને કારણે ગરમીનો પ્રભાવ વધુ અનુભવાયો હતો. હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં ગરમીનો યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ધરપકડ:રાજુલા નજીક ધારેશ્વર હત્યાકાંડમાં પોલીસની કાર્યવાહી, ત્રણેય આરોપી ભાક્ષીથી ઝડપાયા
રાજુલા તાલુકાના ધારેશ્વર ગામે બનેલા યુવાનની હત્યાના બનાવમાં રાજુલા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા છે. પોલીસે બે દિવસની તપાસ બાદ આરોપીઓને ભાક્ષી ગામેથી દબોચી લઈ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ધારેશ્વર ગામના એક યુવાનને કૌટુંબિક ભત્રીજીને ભગાડી ગયો હોવાના મનદુઃખમાં કેટલાક શખ્સોએ મોઢે ડૂચો દઈ અપહરણ કરી વાડી વિસ્તારમાં પટ્ટા અને દોરડા વડે બેફામ માર માર્યો હતો. ગંભીર ઇજાઓ પહોંચતા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવને કારણે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક યુવાને શખ્સોની બહેનને ભગાડી લઈ જતાં આ બાબતે વેરઝેર રાખી અપહરણ કરી ક્રૂર માર માર્યો હતો. અને બાદમાં આ યુવાનું મોત થયું હતું. આ બનાવ અંગે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તપાસ હાથ ધરી આરોપી સુરસિંહ ભનુભાઈ સોલંકી, રાકેશ ભનુભાઈ સોલંકી તથા તેમના માસિયાઈ ભાઈ કેવલને ભાક્ષી ગામેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
આવકના શ્રીગણેશ:અમરેલી અને સાવરકુંડલા યાર્ડમાં સીઝનની પ્રથમ કેસર કેરી આવી
અમરેલી અને સાવરકુંડલા યાર્ડમાં સીઝનની પ્રથમ કેસર કેરીની આવકના શ્રીગણેશ થયા હતા. અમરેલી યાર્ડમાં છેલ્લા બે દિવસથી સ્થાનિક કેસર કરી આવી રહી છે. જ્યારે સાવરકુંડલા યાર્ડમાં આજથી કેસર કેરીની આવક શરૂ થઈ હતી. અહીં વેપારીઓ અને ખેડૂતોની ઉપસ્થિતિમાં હરરાજીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સાવરકુંડલામાં સીઝનમાં પ્રથમ વખત કેસર કેરીની હરરાજી યોજાઈ હતી. જેમાં ઉત્તમ ગુણવત્તાની કેરીને ઉંચો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. હરરાજી દરમિયાન વેપારીઓએ કેરીની બોલી લગાવી હતી. જેના પરિણામે કેસર કેરીને 20 કિલોના રૂપિયા 2380 જેટલો સીઝનનો ઉચ્ચ ભાવ મળ્યો હતો. આ વર્ષે સીઝનની શરૂઆતમાં જ સારા ભાવ મળતા અન્ય કેરી ઉત્પાદક ખેડૂતોમાં પણ આશા જાગી છે કે આવનારા દિવસોમાં કેસર કેરીને વધુ સારા ભાવ મળશે. જ્યારે અમરેલી માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા બે દિવસથી સ્થાનિક કેસર કેરીની આવક થઈ રહી છે. અમરેલીના વેપારી ઘનશ્યામભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે અમરેલી યાર્ડમાં છેલ્લા બે દિવસથી પાકેલ કેરીના 200 જેટલા બોક્સની આવક થઈ રહી છે. જ્યારે માર્કેટીંગ યાર્ડમાં આજે સરેરાશ ખેડૂતોને 20 કિલોના રૂપિયા 2600 ભાવ મળ્યો હતો. અત્યારે અમરેલી યાર્ડમાં ધારીના હુડલી પંથકમાંથી પાકેલ કેસર કેરીની આવક થઈ રહી છે. અહીં દરરોજ 200 બોક્સ આવે છે. પરંતુ આગામી એક સપ્તાહની અંદર કેસર કેરીની આવકમાં વધારો થશે અને અહીં પ્રતિ દિવસ 500 થી 600 બોક્સની આવક થશે. - ઘનશ્યામભાઈ રૈયાણી,અમરેલીના કેસર કેરીના વેપારી માવઠું ઓછી આવકનું કારણસામાન્ય રીતે અમરેલી યાર્ડમાં અત્યારે કેસર કેરીની આવક વધુ હોય છે. પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદ પડ્યો હતો. તેમજ ઉત્પાદન ઓછુ હોવાની ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે. જેથી અત્યારે ઓછી આવક થઈ રહી છે.
અમરેલીના દલિત યુવાન મોત મામલો:બીજા દિવસે પણ ઉકેલ નહીં, આજે આગેવાનો સાથે કોર્ટમાં રજુઆત કરાશે
અમરેલીમાં દલિત યુવાનના મોતના મામલે બીજા દિવસે પણ કોઈ ઉકેલ આવ્યો નથી. યુવકના પરિવારજનો અને દલિત સમાજના આગેવાનો દ્વારા આરોપીઓ સામે સીધો હત્યાનો ગુન્હો નોંધવાની માંગ પર અડગ રહેતા મામલો વધુ ગંભીર બન્યો છે. મૃતક યુવાનના પરિવારજનોનો આક્ષેપ છે કે હોસ્પિટલના અન્નક્ષેત્રમાં વધેલા ભોજન બાબતે થયેલી બોલાચાલી દરમિયાન ભરત આચાર્ય અને તેના સાથીદારો દ્વારા યુવકને બેફામ માર મારવામાં આવ્યો હતો, જેના કારણે યુવકનું મોત થયું છે. તેથી તમામ શખ્સો સામે હત્યાનો ગુન્હો દાખલ કરવામાં આવે તેવી માંગ ઉઠાવાઈ છે. જો કે, આ મામલે પોલીસ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. હાલ સુધી કોઈ ચોક્કસ ઉકેલ ન આવતા પરિવારજનો અને સમાજના આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. મામલો ઉકેલવા માટે કાલે દલિત સમાજના આગેવાનો, યુવકના માતા-પિતા અને સંબંધીઓ કોર્ટમાં રજૂઆત કરવા પહોંચશે. આ અંગે કોર્ટે હિયરિંગ માટે કાલની તારીખ નિર્ધારિત કરી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ પણ આગળની કાર્યવાહી માટે તૈયાર હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો:દેડિયાપાડાના ડાબકા પાસે પિકઅપ પલટી મારી જતાં ચારને ગંભીર ઇજા
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના કુકડીપાદર ગામથી લગ્નપ્રસંગમાં માણસો ભરીને કોકટી (શિશા) ગામે જઈ રહેલી એક પીકઅપ ગાડી ડાબકા ગામના મુરબાઠી વિસ્તારમાં અચાનક પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે અન્ય ચાર લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના કુકડીપાદર ગામના લોકો બપોરે આશરે 01:00 વાગ્યાની આસપાસ પીકઅપ ગાડીમાં સવાર થઈ ડેડિયાપાડાના કોકટી (શિશા) ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. ત્યારે ડાબકાથી પીપલોદને જોડતા માર્ગ પર ડાબકા ગામના મુરબાઠી વિસ્તારમાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા પીકઅપ ગાડી ધડાકાભેર પલટી ખાઈ ગઈ હતી. ગાડી પલટી જતાં મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ખાનગી વાહનો દ્વારા મોઝદા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ માર્ગ નર્મદા જિલ્લાના જાણીતા પ્રવાસન સ્થળો જેવા કે કોકમ, ચુલિયા હનુમાન મંદિર, નિનાઇ ધોધ અને સુપ્રસિદ્ધ દેવમોગરા માતાજીના મંદિરને જોડતો મુખ્ય રસ્તો છે. પ્રવાસીઓની સતત અવરજવર ધરાવતા આ રસ્તા પર થયેલા આ અકસ્માતે મુસાફરોની સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા છે. કુકડીપાદર ગામથી કોકટી ગામે જતી ગાડી ડાબકા ગામે અચાનક પલટી ખાઈ ગઈ
બ્રહ્મસમાજ દ્વારા આયોજન:રાજપીપળા મોટા મઠ ખાતે આદિગુરુ શંકરાચાર્યની જન્મ જયંતીની ઉજવણી
રાજપીપલા મોટા મઠ ખાતે આદિગુરુ શંકરાચાર્યની જન્મ જયંતિ ની ઉજવણી રાજપીપલા બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવી હતી. બ્રહ્મસમાજ દ્વારા ઐતિહાસિક મંદિર ખાતે શંકરાચાર્યનું પૂજન કરવામાં આવ્યું હતું. રાજપીપલા ખાતે આવેલ મોટા મઠ ના ટ્રસ્ટી દ્વારકા શારદાપીઠના શ્રી નારાયણનંદજી ના આશીર્વાદથી અહીંયા વર્ષો થી આદિગુરુ શંકરાચાર્ય જી નું પૂજન કરવામાં આવે છે. અહીંયા ના પ્રથમ દંડી સ્વામી માધવાનંદજી હતા જે વર્ષો પહેલા અંતરધ્યાન થયા હતા ત્યારબાદ આ સ્થળને દંડી સ્વામી ના મઠ તરીકે ઓળખવામાં આવે છે જોકે વર્ષો જુના આ મંદિર ને જીર્ણોધ્ધાર ની પણ જરૂર છે એક જર્જરિત સ્થળમાં આ મંદિર હાલ ચાલી રહ્યું છે. દર વર્ષે ગુરુપૂર્ણિમા અને શંકરાચાર્ય ની જન્મ જયંતિ નિમિતે અહીંયા પૂજન નું આયોજન કરવામાં આવે છે દેશ માં ચારેય દિશા માં ચાર મઠ ની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાં ચારેય મઠ માં શંકરાચાર્યની નિમણૂક કરવામાં આવી હતી જેથી દેશ માં સનાતન ધર્મ લોકો સુધી પહોંચે છે.
વાપી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં બે મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારોને પ્રચાર કરવા સામે હેરાન પરેશાન કરવા સહિત વિવધ આક્ષેપો સાથે વલસાડ એસપી સમક્ષ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ અને પ્રભારી ગીરીશ દેસાઇએ રાવ કરી છે.આ મુદ્દે એસપી સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવા માગ કરાઇ છે.બીજી તરફ વાપી શહેર ભાજપ પ્રમુખે કહ્યું હતુ કે અમે કોઇને રોકયા જ નથી. આક્ષેપો તદ્દન ખોટા છે. વાપી મનપા ચુંટણીના કોંગ્રેસ પક્ષના પ્રભારી ગીરીશ દેસાઇ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલે કરેલી રજૂઆત મુજબ વોર્ડ નં.11માં 19 એપ્રિલના રોજ કોંગ્રેસના કાર્યકરો ઉમેદવારોને ભાજપે પ્રચાર કરતા રોક્યા હતા તેની અરજી એસપી યુવરાજસિંહ જાડેજાને કરી હતી. આ બંન્ને કોંગ્રેસ નેતાઓએ રજૂઆતમાં આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે વોર્ડ નં.11ના કોળીવાડ અને સુલપડ સંવેદનશીલ વિસ્તારમાં તેમને પ્રચાર નહિ કરવા દેવાયો હતો અને પોસ્ટર ફાડી નાંખ્યા હતા તેની લેખિત રજૂઆતો કોંગ્રેસ ઉમેદવારોએ કહી હતી.વોર્ડ નં.10માં કોંગ્રેસના નેતા પીરૂ મકરાણીના કાર્યકરોને પણ ખોટી રીતે હેરાન પરેશાનનો આક્ષેપ કર્યો હતો. પ્રભારી ગીરીશ દેસાઇએ જણાવ્યું હતું કે, વલસાડ એસપીએ યોગ્ય પ્રતિસાદ આપી કાયદો વ્યવસ્થાની જાળવણી માટે સ્પેશ્યિલ પોલીસ ફોર્સ મૂકવા હૈયાધરપત આપી હતી. આ અંગે પુછતાં વાપી શહેર ભાજપ પ્રમુખ મનિષ દેસાઇએ જણાવ્યું હતું કે આ પ્રકારનો બનાવ ધ્યાને આવ્યો નથી. અમે કોઇને પ્રચાર માટે અટકાવ્યાં નથી.ચૂંટણીપંચની ગાઇડલાઇન મુજબ ભાજપના ઉમેદવારો પ્રચાર કાર્ય કરી રહ્યાં છે. જેથી અમે કોઇ મુશ્કેલી ઉભી કરી નથી. આમ વાપી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કર્યો છે. તો ભાજપે પણ આક્ષેપ પાયાવિહોણા હોવાના જવાબ આપ્યો હતો. રાજકીય માહોલમાં ગરમાટો વ્યાપી ગયો છે.
વિશ્વ પુસ્તક દિવસ:ધરમપુરના વ્યક્તિએ લંડનમાં વસાવ્યું પુસ્તકધામ
વિશ્વ પુસ્તક દિવસ 23એપ્રિલ નિમિત્તે જ્યારે પુસ્તકો પ્રત્યેનો પ્રેમ ઓછો થઈ રહ્યો હોવાની ચર્ચા છે. ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુરના વતની અને છેલ્લા 38 વર્ષથી લંડનમાં સ્થાયી ઇલ્યાસ આબીદઅલી સિદાત (ઇલ્યાસ ધરમપુરી) એ સાહિત્ય પ્રત્યેનો અનોખો ભાવ દર્શાવી સાત સમંદર પાર પોતાના નિવાસસ્થાને માત્ર કવિતાના 625 પુસ્તકોની એક પર્સનલ લાઇબ્રેરી બનાવી ગુજરાતી સાહિત્યની સેવા કરી રહ્યા છે. વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે તેમની આ પ્રવૃત્તિ ગુજરાતી ભાષાના ચાહકો માટે પ્રેરણા સ્ત્રોત બની છે. કવિ દીપક બારડોલીકરના સબંધમાં દોહિત્ર ઇલ્યાસ ધરમપુરીના લંડન સ્થિત નિવાસસ્થાને કવિતાના 625પુસ્તકોની લાઇબ્રેરી આવેલી છે. મરીઝ, શયદા, બેફામ, અદમ ટંકારવી, અનિલ જોશી, ઉમાશંકર જોશી ,પ્રફુલ પંડ્યા,ભાવેશ ભટ્ટ, રઈશ મનીઆર, ભાવિન ગોપાણી, ખલીલ ધનતેજવી, શૂન્ય પાલનપુરી, અમૃત ઘાયલ અને ગની દહીવાલાના જેવા અનેક નામાંકિત કવિઓના દુર્લભ કાવ્ય સંગ્રહો સચવાયેલાછે. માત્ર સંગ્રહ કરવા પૂરતું સીમિત ન રહી તેમણે લંડનમાં વસતા અન્ય ગુજરાતી સાહિત્ય પ્રેમીઓને આ પુસ્તકો હોંશે-હોંશે વાંચવા આપે છે. લંડન જેવા મેટ્રોપોલિટન સિટીમાં જ્યાં જગ્યાનો અભાવ હોય છે, ત્યાં હાર્ડકોપી પુસ્તકોની જાળવણી કરવી એક ભગીરથ કાર્ય છે. માતૃભાષા સાથે જોડી રાખવા માટે અનન્ય યોગદાન ગુજરાતના વિવિધ પ્રકાશનો પાસેથી 625 કાવ્ય પુસ્તકો મંગાવી તેમણે પોતાનો ખજાનો સમૃદ્ધ કર્યો છે. એટલું જ નહીં, તેમણે લંડન અને અન્ય શહેરોની જાહેર ગુજરાતી લાઇબ્રેરીઓમાં પણ કવિતાના પુસ્તકો ભેટ આપીને નવી પેઢીને માતૃભાષા સાથે જોડી રાખવા માટે અનન્ય યોગદાન આપ્યું છે. તેઓ પોતે પણ ગઝલ ક્ષેત્રે ઊંડો રસ ધરાવે છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી નિયમિત પોતાની રચનાઓ દ્વારા સાહિત્ય પીરસે છે. સાહિત્યનો લ્હાવો મળે તે જરૂરી પુસ્તકોમારા માટે માત્ર કાગળના પાના નથી, પણ મારો વારસો છે. લંડનમાં રહીને પણ હું મારા ધરમપુર અને ગુજરાતી સાહિત્યની નજીક રહું છું. બીજાને પણ આ સાહિત્યનો લ્હાવો મળે તે મારો મુખ્ય ઉદ્દેશ્ય છે.> ઇલ્યાસ ધરમપુરી, લંડન
તવડીમાં સંગ્રામ:9500થી વધુ બાવળ કાપવા મુદ્દે પોલીસઅને ગ્રામજનો સામસામે, 300 મહિલાઓએ કામ અટકાવ્યું
જલાલપોર તાલુકાના તવડી ગામે ખેતીની જમીનમાં ઉભેલા આશરે 9,567 જેટલા બાવળના ઝાડો કાપવાની મંજૂરી મુદ્દે ભારે હોબાળો મચ્યો છે. વહીવટી તંત્ર દ્વારા માત્ર એક જ પાવરદારની રજૂઆતને આધારે હજારો વૃક્ષો કાપવાની મંજૂરી આપી દેવાતા ગામના 22 હિસ્સેદારો અને સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. બુધવારે મજૂરોએ ઝાડ કાપવાનું શરૂ કરતા જ સરપંચ રીનાબેન સહિત 300થી વધુ મહિલાઓએ સ્થળ પર ધસી જઈ ટ્રેક્ટરો અટકાવ્યા હતા. આ દરમિયાન પોલીસ કાફલો આવી પહોંચતા માહોલ ગરમ થયો હતો અને પોલીસ-ગ્રામજનો વચ્ચે ઘર્ષણના દૃશ્યો સર્જાયા હતા. રાત્રે પણ પંચાયત પાસે ગ્રામજનોના ધામાબુધવારે સવારે જ્યારે મજૂરો સાધનો સાથે ત્રાટક્યા ત્યારે ગ્રામજનોએ તેમના સાધનો જપ્ત કરી લીધા હતા. મોડી સાંજે અને રાત્રે પણ મહિલાઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગ્રામજનોનો આક્ષેપ છે કે પોલીસ તેમને સહકાર આપવાને બદલે સવાલો કરી રહી છે. શુછે સમગ્ર વિવાદસુરતના બારડોલીમાં રહેતા પ્રિતેશકુમાર રમેશભાઈ પ્રજાપતિ (કુંદનબેન પટેલની પુત્રીના પાવરદાર) એ તવડી ગામના વિવિધ બ્લોક નંબરોમાં આવેલા બાવળના ઝાડ કાપવા પરવાનગી માંગી હતી. જોકે, સ્થાનિકોનો દાવો છે કે આ જમીન અલગ-અલગ 22 લોકોના નામે છે. મૂળ માલિકોએ જે-તે સમયે ગામના 22 લોકોને જમીન વેચી હતી, છતાં અન્ય એક પાવરદારને આધારે તંત્રએ મંજૂરી આપી દેતા વિવાદ વકર્યો છે. પોલીસ સવાલો પૂછે છે પણ મદદ નથી કરતી: સરપંચ જમીનના મૂળ માલિકો બહાર રહે છે, તેમણે ગામના 22 લોકોને જમીન વેચી છે. આ 22 લોકોની મંજૂરી વગર લાકડા કાપવા અને માટી ખનન શરૂ કરી દેવાયું છે. અમે વિરોધ કર્યો તો 300થી વધુ મહિલાઓ ઉતરી આવી છે. પોલીસ અમને સહકાર આપવાને બદલે અમારી જ ઉલટતપાસ કરી રહી છે. > રીનાબેન, સરપંચ તવડી ગામ
SOGની કાર્યવાહી:ખંભાલિયામાં નવા બંધાતા મકાનમાંથી વિસ્ફોટકના જથ્થા સાથે 1 ઝબ્બે, 2 ફરાર
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા નવસારી એસઓજી પીઆઇ આર.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન એ.હે.કો. મયુરભાઈ અને ભક્તેશભાઈને મળેલી બાતમીના આધારે વાંસદાના ખંભાલિયા ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસના દરોડા દરમિયાન ગામની નવી કોલોનીમાં રહેતા અજીતભાઈ સુમનભાઈ પટેલના નવા બંધાતા મકાનમાંથી કોઈપણ પાસ-પરમિટ વગર જોખમી રીતે છુપાવેલો વિસ્ફોટક જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી જીલેટીન સ્ટીક, ઈલેક્ટ્રીક ડિટોનેટર અને દીવેટ સહિત કુલ ₹ 5,590નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી અજીત પટેલની ધરપકડ કરી છે. તેની સામે વાંસદા પોલીસ મથકે 'એક્સપ્લોઝિવ એક્ટ' હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ તપાસમાં ચીખલીના બામણવેલનો ઝીણાભાઈ નાયકા અને સાદડદેવીનો નવાભાઈ નામના બે શખ્સોના નામ ખુલતા તેમને વોન્ટેડ જાહેર કરાયા છે. ઝડપાયેલો આરોપી અજીત પટેલ અગાઉ 2020માં પ્રોહિબિશનના ગુનામાં પણ પકડાઈ ચુક્યો છે.
ખેતીપ્રધાન ભારત દેશમાં ખેડૂતો પોતાની પેદાશોના વેચાણ માટે રાત-દિવસ વાહનો લઈને માર્કેટ યાર્ડ સુધી સફર કરતા હોય છે. ખાસ કરીને રાત્રિના સમયે અથવા વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણમાં રોડ પર ઊભેલા કે ગતિશીલ ટ્રેક્ટર-ટ્રોલી કે ટેમ્પો જેવા વાહનો અન્ય વાહન ચાલકોને દેખાતા નથી, જે ગંભીર અકસ્માતનું કારણ બને છે. આ જોખમને નિવારવા માટે બુધવારે જિલ્લા ટ્રાફિક શાખા નવસારી દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.આરટીઓ અધિકારીઓના સહયોગથી નવસારી ટ્રાફિક પોલીસે બીલીમોરા અને ચીખલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ની મુલાકાત લીધી હતી. અહીં માલસામાન લઈને આવતા ટ્રક, ટેમ્પો, ટ્રેક્ટર-ટ્રોલી અને છકડા જેવા 150થી વધુ કૃષિ વાહનો પર રેડિયમ અને રિફ્લેક્ટર્સ લગાવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ વહન દરમિયાન ખેડૂતો અને વાહન ચાલકોની સલામતી સુનિશ્ચિત કરવાનો છે. રિફ્લેક્ટર્સના કારણે દૂરથી આવતા વાહનોને કૃષિ વાહનની હાજરીનો ખ્યાલ આવશે, જેથી સંભવિત અકસ્માતો અટકાવી શકાશે. ટ્રાફિક પોલીસની આ કામગીરીને ખેડૂત આલમ દ્વારા બિરદાવાઇ હતી. ધુમ્મસના જોખમ સામે સુરક્ષા કવચ વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણમાં રોડ પર ઊભેલા કે ગતિશીલ ટ્રેક્ટર-ટ્રોલી કે ટેમ્પો જેવા વાહનો અન્ય વાહનચાલકોને દેખાતા નથી, જે ગંભીર અકસ્માતનું કારણ બને છે. જેને લઇ એસપીના માર્ગદર્શન હેઠળ રિફ્લેક્ટર લગાવામાં આવ્યા અને જાગૃતિના કાર્યક્રમો પણ કરાયા છે. > એમ.પી.સોલંકી, ટ્રાફિક પોલીસ અધિકારી
પ્રશાસન વિરુદ્ધ વધતો આક્રોશ:ટ્રેન નહીં તો વોટ નહીં’ સોશિયલ મીડિયા પર NOTAનું કેમ્પેઈન શરૂ
નવસારી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના 50 હજારથી વધુ અપ-ડાઉન કરતા પાસ ધારકો અને સ્થાનિક મુસાફરોમાં રેલવે પ્રશાસન વિરુદ્ધ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી નવસારીના મુસાફરો દ્વારા વિવિધ ટ્રેનોના સ્ટોપેજ અને નવી ટ્રેનો શરૂ કરવા માટે રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. ચૂંટણી સમયે નવસારી- વલસાડ જિલ્લાના પાસ મુસાફરો એ પોતાને કોરોના પહેલા બંધ થયેલી ટ્રેનોને શરૂ કરવામાં આવે, ટ્રેનોના ડબ્બા પણ વધારવામાં આવે અને ધારાસભ્યો અને સાંસદને વારંવાર લેખિતમાં અને રૂબરુ મળ્યા છતાં માત્ર ઠાલા વચનો જ મળ્યા હોય અને આગામી સમયમાં જો માંગ ન પૂરી થવાની હોય ત્યારે મતદાન શા માટે કરવાનું તેમ જણાવી સોશિયલ મીડિયામાં એક જ ચાલે નોટા જ ચાલે શાન ઠેકાણે લાવવા માટે જેને લઇ મુસાફરોમાં સરકાર પ્રત્યે આક્રોશ છવાયો છે. મુસાફરોની સ્પષ્ટ માંગ છે કે નવસારી સહિત દક્ષિણ ગુજરાતના મુસાફરોને અન્યાય કરવાનું બંધ કરી તાત્કાલિક અસરથી જરૂરી ટ્રેનોના સ્ટોપેજ આપવામાં આવે અને મુસાફરોની સુરક્ષા તથા સુવિધા સુનિશ્ચિત કરવામાં આવે. પશ્ચિમ બંગાળના ઉમેદવારને મત અપાવવા એસી ટ્રેન અને મજૂરો પર લાઠીચાર્જથી રોષ સુરતના એક રેલવે સ્ટેશન પર પોતાની વાજબી માંગણીઓ રજૂ કરી રહેલા શ્રમિકો અને મુસાફરો પર કરવામાં આવેલા લાઠીચાર્જની ઘટનાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. રોષે ભરાયેલા મુસાફરોનું કહેવું છે કે, એક તરફ પશ્ચિમ બંગાળમાં મતદાન માટે મજૂરોને લઈ જવા સ્પેશિયલ AC ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ જે મુસાફરો દરરોજ રેલવેને આવક કરી આપે છે તેમને સુવિધાના નામે લાઠીઓ મળી રહી છે. દરેકને નોટા પર બટન દબાવી વિરોધ નોંધાવવા અપીલરેલવે તંત્ર અને સરકારના પક્ષપાતી વલણથી કંટાળીને પાસ ધારકો અને પેસેન્જર એસોસિએશને આકરા તેવર અપનાવ્યા છે. આગામી લોકસભા ચૂંટણીમાં જો નવસારીના મુસાફરોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો હજારો પાસ ધારકો એકસૂત્રે નોટાનું બટન દબાવી પોતાનો વિરોધ નોંધાવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.> મહેશભાઇ, મુસાફર
નવસારી જિલ્લામાં 3 મહિનાથીય વધુ સમયથી મનરેગામાં કામ કરતા શ્રમિકોને વેતન નહી ચૂકવાતા ગરીબ શ્રમિકોની સ્થિતિ કફોડી થઈ છે. જિલ્લામાં કુલ 5 કરોડથી વધુ નાણાં અંદાજે 6 હજારથી વધુ શ્રમિકોને ચૂકવવાના બાકી છે. ગ્રામ્ય વિસ્તારમાં ગરીબ લોકોને રોજગારીની ખાતરી આપતી મહાત્વાકાંક્ષી યોજના મનરેગા 19 વર્ષથી અહીંના નવસારી જિલ્લામાં પણ ચાલી રહી છે. જળસંચય, નાની સિંચાઈ, કાંસ સફાઈ વગેરે કામો આ યોજનામાં કામ કરતા શ્રમિકો કરે છે. શ્રમિકોને આમ તો 15 દિવસમાં વેતન ચૂકવવાની એક ગાઈડલાઇન છે, જોકે તેમાં થોડો વિલંબ પણ થાય છે. માર્ચ મહિનામાં વિલંબ થતો આવ્યો છે. જોકે હાલ વધુ વિલંબ થયો છે. આ વિલંબ ચર્ચાસ્પદ પણ બન્યો છે અને તેની અસર પણ હવે કામ પર થવા લાગી છે. મળતી માહિતી મુજબ 15 જાન્યુઆરી બાદ જિલ્લામાં વેતન ચૂકવણી નહીં થયાની વાત બહાર આવી છે. આમ ત્રણ મહિના વિતી જતા રોજનું કમાઈ રોજ ખાનારા ઘણા શ્રમિકોની હાલત કફોડી થઈ ગઈ છે. સ્થાનિક લેવલે વિલંબ થવાનું કારણ પૂછતાછ કરતા ગ્રાન્ટ નહી આવ્યાનું જવાબ મળે છે. જિલ્લામાં 5 કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી શ્રમિકોની બાકી છે, શ્રમિકોને ચોક્કસ આંક તો નથી પણ અંદાજે 6 હજારથી વધુ શ્રમિકોની ચૂકવણી બાકી છે. ભાસ્કર ઇનસાઇડતળાવ, કાંસ સફાઈ સહિતના કામો પર અસરઆમ તો 15 દિવસમાં ચુકવણી કરવાની એક ગાઇડલાઇન છે. ચૂકવણી થોડી લંબાવાની સ્થિતિ માટે શ્રમિકો તૈયાર હોય છે પણ હાલ વધુ સમય જતા અનેક શ્રમિકો મનરેગાની જગ્યાએ અન્ય જગ્યાએ કામ કરવા જઈ રહ્યાંની જાણકારી પણ બહાર આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે હાલ ઉનાળામાં ગટર, કાંસ સફાઈ, તળાવ વગેરેના કામો થતા હોય છે, જે ચાલી પણ રહ્યાં છે પણ વેતન ચૂકવણી વિલંબ થતા કેટલીક જગ્યાએ શ્રમિક નહીં આવતા કામ અસરગ્રસ્ત થઈ રહ્યાંની માહિતી પણ બહાર આવી છે. વાંસદા તાલુકામાં 1.60 કરોડથી વધુ બાકીમનરેગા યોજનામાં શ્રમિકોને મજુરી ચુકવવાના નાણાં એક યા બે તાલુકામાં નહીં પરંતુ તમામ 6 તાલુકામાં વિલંબાયા છે. જો કે તમામ તાલુકામાં એક સરખી સ્થિતિ નથી. સૌથી વધુ ચુકવણી વાંસદા તાલુકામાં 1.60 કરોડ રૂપિયાથી વધુની બાકી હોવાની જાણકારી બહાર આવી છે. ત્યારબાદ ગણદેવી તાલુકામાં વધુ બાકી છે. અન્ય ચાર તાલુકામાં પણ 37 લાખથી 80 લાખ સુધીની ચુકવણી શ્રમિકોને બાકી હોવાની જાણકારી મળી છે. જિલ્લામાં કેટલાય કર્મીઓનો પગાર બાકી..જ્યાં મનરેગા યોજનામાં કામ કરતા શ્રમિકોનું વેતન વિલંબાયુ છે ત્યાં આજ યોજનામાં તાલુકા લેવલે કર્મચારીઓ પણ કરાર આધારિત કામ કરે છે તેમનો પગાર પણ નિયમિત નહીં થઈ રહ્યાની જાણકારી મળી છે. અનેક કર્મચારીઓનો તો ચાર મહિનાથી ય વધુ સમયથી પગાર થયો નથી. અહીં પણ ગ્રાન્ટની જ સમસ્યા છે. નજીકમાં ચુકવણી થઇ જવાની ચર્ચામળતી માહિતી મુજબ નજીકના દિવસોમાં મનરેગા યોજનાની જગ્યાએ વિકસીત ભારત જીરામજી યોજના અમલી બની રહી છે. જેને લઇ સિસ્ટમ બદલાઇ રહી હોય ચુકવણી લંબાઇ હોવાની એક જાણકારી બહાર આવી છે અને નજીકના દિવસમાં બાકી ચુકવણી થઇ જવાની ચર્ચા પણ અંતરંગ સરકારી સુત્રોમાંથી જાણવા મળી છે.
અરજદારો વધ્યા:RTEમાં શહેરમાંથી સૌથી વધુ 36 હજાર ફોર્મ, 1 બેઠક માટે 3 વિદ્યાર્થી વચ્ચે સ્પર્ધા
રાઇટ ટુ એજ્યુકેશનમાં પ્રવેશ માટે આવકમર્યાદા 6 લાખની થતાં આ વર્ષે અમદાવાદ શહેરમાંથી મુદત વધારાયા બાદ અત્યાર સુધીમાં ઐતિહાસિક 36,939 વિદ્યાર્થીનાં ફોર્મ ભરવામાં આવ્યાં છે. જ્યારે કે ગયા વર્ષે સમગ્ર પ્રવેશ પ્રક્રિયા પૂરી થયા બાદ 36,836 વિદ્યાર્થીઓનાં કુલ ફોર્મ ભરાયાં હતાં. આ વર્ષે અમદાવાદ શહેરમાંથી ઐતિહાસિક ફોર્મ ભરાયાં છે. અમદાવાદ શહેરની સ્કૂલોમાં આરટીઇની કુલ 14200 અનામત બેઠકો છે. જેથી આ વર્ષે એક બેઠક પર 3 વિદ્યાર્થી વચ્ચે સ્પર્ધા થશે. આરટીઇમાં આ વર્ષે ગુજરાત બોર્ડની સ્કૂલો શરૂ થાય તે પહેલાં જ પ્રવેશપ્રક્રિયા પૂરી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પહેલા તબક્કા બાદ વાલીઓની સુવિધા માટે તારીખ લંબાવવામાં આવી હતી. પરંતુ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ચૂંટણીને કારણે વાલીઓને આવકનો દાખવો કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. આ કારણે હજુ પણ થોડા સમય વાલીઓને આપવામાં આવી શકે છે. અત્યારે દરરોજ 70 જેટલા નવા વાલીઓ પોતાનાં બાળકો માટે ફોર્મ ભરી રહ્યાં છે. જેથી સરકાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફોર્મ ભરવાનો સમય વધારી શકે છે. 587 સિંગલ ચાઇલ્ડના વાલીએ ફોર્મ ભર્યાંગયા વર્ષે અમદાવાદમાંથી 510 એક માત્ર દિકરી હોય તેવા વાલીઓએ ફોર્મ ભર્યુ હતું. પરંતુ આ વર્ષે સૌથી વધુ 587 એવા વાલીઓએ અરજી કરી હતી કે જેઓને સંતાનમાં એક માત્ર દિકરી છે. આરટીઇના નિયમ પ્રમાણે આ વાલીના બાળકોને પ્રવેશ માટે પ્રાથમિકતા આપવામાં આવે છે. સરકારે જાહેર 8માં ક્રમ પર એક સંતાનની દિકરીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. વાલીઓ ફી ભરવા તૈયાર હોવા છતાં આરટીઇનાં બાળકોને ધોરણ-9માં પ્રવેશ ન આપતાં ફરિયાદઆરટીઇમાં ધોરણ 8 સુધી બાળકોને નિ:શુલ્ક અભ્યાસ કરાવવામાં આવે છે પરંતુ ત્યાર પછી વાલી ફી ભરવા તૈયાર હોવા છતાં એ જ સ્કૂલમાં પ્રવેશ ન અપાતો હોવાની ફરિયાદ ડીઇઓ કચેરીમાં કરવામાં આવી રહી છે. વાલીઓના જણાવ્યા મુજબ, સરકારે પ્રાથમિક બાદ માધ્યમિકમાં પ્રવેશ માટે વાલીઓને મદદ કરવી જોઇએ.
ભારતમાં ‘ગઝવા-એ-હિંદ’ની સ્થાપના કરવાના ઉદ્દેશ સાથે દેશમાં હુમલો કરવાની તૈયારી કરી રહેલા બે આરોપીને ગુજરાત ATSની ટીમે ઝડપી લીધા હતા. સિદ્ધપુરનો ઇરફાન પઠાણ અને મુંબઈનો મુરશીદ સંખ્યાબંધ વોટ્સએપ એકાઉન્ટમાં એક્ટિવ હતા. આરોપીઓએ 12થી 13 સભ્યોના વોટ્સએપ ગ્રુપ બનાવ્યા હતા. ગ્રુપમાં રહેલા તમામ સભ્યોની વિગત એકઠી કરવામાં આવી રહી છે, જેમાં દેશવિરોધી કટ્ટર માનસિકતા ધરાવતા ઘણા ગુમરાહ લોકોને પૂછપરછ માટે તૈયારી કરવામાં આવી રહી છે, જેમાંથી ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે. જુદા-જુદા ગ્રુપમાં વીડિયો અને મેસેજીસ મોકલ્યા હતાસોશિયલ મીડિયા પર પાકિસ્તાની કટ્ટરપંથી સંગઠનો તથા સિરિયાના ISIS અને અન્ય સંગઠનોને ફોલો કરી તેમના વીડિયો તથા મેસેજ જુદા-જુદા ગ્રુપમાં વાયરલ કરવામાં આવી રહ્યા હોવાની વિગતો ATSને મળી હતી. ATSની ટીમને સિદ્ધપુરથી MSCનો અભ્યાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવક ઇરફાન પઠાણને ઝડપી લીધો હતો. તેની સાથે સંકળાયેલા મુંબઈના મુરશીદને પણ ઝડપી લેવાયો છે. કટ્ટર વિચારો વાયરલ કરવા 12-13 વોટ્સએપ ગ્રુપ એક્ટિવબંનેના ફોનમાંથી કટ્ટર વિચારો વાયરલ કરવા માટે બનાવાયેલા 12-13 સભ્યોના સંખ્યાબંધ વોટ્સએપ ગ્રુપ એક્ટિવ હોવાની વિગતો મળી હતી. મોબાઇલમાંથી આવા ઘણા ગ્રુપના સભ્યોની વિગતો પોલીસને મળી છે. સોશિયલ મીડિયાના જુદા-જુદા પ્લેટફોર્મ પર દેશના ચોક્કસ નેતાઓ અને RSSના લોકો પર હુમલા અને દેશ સામે યુદ્ધ છેડવાના મેસેજ સહિત ઘણું વિવાદાસ્પદ સાહિત્ય પણ વાયરલ કરવામાં આવ્યું હતું, જેની તપાસ ચાલી રહી છે. સો.મીડિયાના તમામ પ્લેટફોર્મ પર ખાસ વોચબંને યુવાનોએ દેશભરમાંથી પોતાના જેવી માનસિકતા ધરાવતા યુવાનોને એકત્રિત કરી મોટી ઘટનાને અંજામ આપવા તથા યુદ્ધ છેડવાની તૈયારી કરી હતી. તેના માટે તેઓ ફંડિંગ અને હથિયાર મેળવવા પ્રયત્નશીલ હતા. હવે તેમણે આ દિશામાં કોઈ કામગીરી કરી હતી કે કેમ તથા હુમલા માટે તેમણે કોઈ લોકેશનની રેકી કરી હતી કે કેમ તેની તપાસ ચાલી રહી છે. આ ઘટના બાદ ATS ઉપરાંત તમામ એજન્સીઓ દ્વારા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે.
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પ્રચાર અર્થે ભાજપના દિગ્ગજ નેતા અને સ્ટાર પ્રચારક પરસોતમ રૂપાલાએ આજે વોર્ડ નંબર 12માં જાહેરસભાને સંબોધિત કરી હતી. તાપી કિનારે કર્ણની ભૂમિ પરથી રૂપાલાએ પોતાના આગવા અંદાજમાં 'મિની ભારત' ગણાતા સુરતના વિકાસ અને કેન્દ્ર સરકારની વૈશ્વિક સિદ્ધિઓની વાત કરી મતદારોને ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી. યુક્રેન યુદ્ધ અને તિરંગાની શાનનો કિસ્સોરૂપાલાએ યુક્રેન-રશિયા યુદ્ધ સમયનો એક હૃદયસ્પર્શી કિસ્સો વર્ણવતા જણાવ્યું હતું કે, યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા હું એરપોર્ટ ગયો હતો. મેં એક દીકરાને પૂછ્યું કે તમે આ 'બહબહાટી' (યુદ્ધ) વચ્ચેથી બહાર કેવી રીતે નીકળ્યા? ત્યારે તે દીકરાએ ગર્વથી કહ્યું હતું કે અમને સૂચના મળી હતી કે હાથમાં તિરંગો લઈને નીકળજો, તમારી ઉપર ફાયરિંગ નહીં થાય. રૂપાલાએ ઉમેર્યું કે ઇતિહાસમાં અત્યાર સુધી યુદ્ધ અટકાવવા માટે માત્ર 'સફેદ ધ્વજ'નો જ નિયમ હતો, પરંતુ ભારતના તિરંગાએ એ સાબિત કર્યું કે હવે યુદ્ધભૂમિમાં તિરંગો હોય તો પણ સુરક્ષિત નીકળી શકાય છે. રામ મંદિર અને કલમ 370 પર વિપક્ષને આડે હાથ લીધાકોંગ્રેસ અને વિપક્ષ પર પ્રહાર કરતા રૂપાલાએ કહ્યું કે, પહેલા લોકો અમારી ટીકા કરતા કે 'મંદિર વહીં બનાયેંગે, પણ તારીખ નહીં બતાયેંગે'. હવે તારીખ પણ આવી ગઈ અને રામલલા પણ બિરાજી ગયા, પણ કરમની કઠણાઈ જુઓ કે ટીકા કરનારા દર્શન કરવા પણ ન જઈ શક્યા. કલમ 370 અંગે તેમણે કટાક્ષ કર્યો કે કોંગ્રેસીઓ કહેતા હતા કે મોદી 50 વર્ષ રહે તો પણ 370 નહીં હટે, પણ અમિત શાહે એક જ પ્રસ્તાવમાં તેને રદ કરી દીધી. હવે વિપક્ષી નેતાઓએ કાશ્મીર જવું હોય તો આંટો મારી આવે. મહિલાઓની સુખાકારી: 'ઇજ્જત ઘર' અને નળથી જળગ્રામીણ અને શહેરી સુવિધાઓની વાત કરતા તેમણે જણાવ્યું કે વડાપ્રધાને લાલ કિલ્લા પરથી શૌચાલયને 'ઇજ્જત ઘર' કહીને માતા-બહેનોનું સન્માન વધાર્યું છે. એક જમાનો હતો જ્યારે બહેનોને કૂવા પર સીંચણ લઈને જવું પડતું, પલળેલા લાકડાથી ધુમાડામાં રસોઈ કરવી પડતી. આજે નળથી જળ અને ગેસ કનેક્શને આ બધી હાડમારી દૂર કરી છે. ‘સુરત હવે મિની સૌરાષ્ટ્ર નહીં, મિની ભારત છે’સુરત સાથેના પોતાના જૂના સંભારણા તાજા કરતા રૂપાલાએ કહ્યું કે, હું 1985થી સુરત આવું છું. પહેલા આને 'મિની સૌરાષ્ટ્ર' કહેતો, પણ હવે સુરત 'મિની ભારત' બની ગયું છે. અહીં આખા દેશના લોકો વસે છે. તેમણે 2006ના પૂરનો ઉલ્લેખ કરી યાદ અપાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાત્રે 2 વાગ્યે પાયચા ચડાવીને સુરતની ગલીઓમાં સફાઈ અભિયાનનું નિરીક્ષણ કર્યું હતું. ‘મોદીની પીઠ થપથપાવવી હોય તો 26મીએ વહેલા મતદાન કરજો’સભાના અંતે તેમણે મતદારોને એક અનોખી અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, જો તમે મોદી સાહેબના કામથી ખુશ હોવ અને તેમની પીઠ થપથપાવવા માંગતા હોવ, તો 26મી તારીખે સવારે 8:30 વાગ્યે મતદાન કરી લાઈનોના વીડિયો વાયરલ કરજો. દિલ્હીમાં બેઠેલા મોદીજીને ખબર પડવી જોઈએ કે સુરતે મતદાન શરૂ કરી દીધું છે, એ જ તેમની સાચી પીઠ થપથપાવી કહેવાશે.
ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવા સમયે ઉમેદવારો તેમજ પક્ષના મોટા નેતાઓ દ્વારા ચૂંટણી જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે એવા સમયે કોળી સમાજના કદાવર નેતા તેમજ રાજ્ય મંત્રી પરસોતમ સોલંકી દ્વારા આવતીકાલ સાંજના સમયે તેમનાં નિવાસ સ્થાને વિજય વિશ્વાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના ચૂંટણી લડતા ઉમેદવારો, ધારાસભ્યો,જિલ્લા-તાલુકાના સંગઠનોના કાર્યકર્તાઓ સાથે બેસી વિચાર વિમર્શ કરી ચૂંટણી જીતવાની વ્યુ રચના પ્રસ્થાપિત કરવામાં આવશે. ભાજપ તરફેણમાં મતદાન કરી તમામ ઉમેદવારોને મદદ કરોઆ અંગે રાજયમંત્રી પરશોત્તમ સોલંકી એ જણાવ્યું હતું કે, મારા બંગલે બધા આગેવાનોને અને ભાવનગરના તમામ સમાજોના આગેવાનોને મે સાંજના 7 વાગ્યે બધાને બોલાવ્યા છે અને બધાને કહેવાનું છે કે જે વસ્તુઓ બની છે એમાં તમે કોઈ ધ્યાન નહીં દેતા પણ આ જે ઈલેકશન છે એના હિસાબે ભાવનગરની આખી પરિસ્થિતિ ચેન્જ થવાની એટલે આમાં ધ્યાન દેજો અને ખૂબ એવું મતદાન કરજો કે કોઈ એમ ન વિચારી શકે કે આમાં કોઈએ મદદ નથી કરી. અમે બધા તમારી સાથે છીએ અને અમારાથી જેટલું થઇ એટલી મદદ તો કરી જ છે પણ ક્યાંક ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો પણ અમારા બધાની એક લાગણી છે કે, તમે ભાજપ તરફેણમાં મતદાન કરી અને ભાજપને અને એના ઉમેદવારોને તમામ મદદ કરી અને મતદાન કરજો એવી મારા તરફથી તમને બધાને નમ્ર અપીલ છે. બહુમતીથી વિજયી બનાવો એવી અપીલવધુમાં જણાવ્યું હતું કે, મારા તરફથી જેટલા પ્રયત્નો થાય એટલા ભાજપ તરફણમાં અને નગરપાલિકામાં, તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં બધાને મારી નમ્ર અપીલ કે ભાજપ તરફણમાં મતદાન કરી અને એમને બધાને બહુમતીથી વિજયી બનાવો એવી તમને બધાને મારી નમ્ર અપીલ છે.
સુરત મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને લઈને શહેરના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને શાંતિપૂર્ણ બનાવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીના આંકડા મુજબ શહેરમાં આચારસંહિતાના અમલ દરમિયાન કુલ 2018 જેટલી ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદોમાં મુખ્યત્વે જાહેર અને ખાનગી મિલકતો પર ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ પ્રચારનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા આ મામલે કડક વલણ અપનાવીને મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, ચૂંટણી પંચે સુરક્ષાના ભાગરૂપે શહેરના 1137 મતદાન મથકોને 'સંવેદનશીલ' જાહેર કર્યા છે, જે પ્રશાસન માટે એક મોટો પડકાર બની રહેશે. આચારસંહિતા ભંગના કેસોમાં ઉછાળોચૂંટણીની જાહેરાત સાથે જ રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે, પરંતુ તેમાં આચારસંહિતાના નિયમોનું ઉલ્લંઘન પણ મોટા પ્રમાણમાં જોવા મળ્યું છે. નોંધાયેલા કુલ 2018 કેસોમાં સૌથી વધુ 1731 કેસો જાહેર મિલકતોના દુરુપયોગના છે. આંકડાકીય વિગત મુજબ, જાહેર સ્થળો પર 650 પોસ્ટર, 362 બેનર અને 649 અન્ય પ્રકારની ગેરકાયદે પ્રચાર સામગ્રી લગાવવામાં આવી હતી. પ્રશાસને આ તમામ 1731 સ્થળોએથી તાત્કાલિક ધોરણે પ્રચાર સામગ્રી હટાવીને મિલકતોને પૂર્વવત કરી છે. ખાનગી મિલકતો અને વાહનોના દુરુપયોગ પર તંત્રની બાજ નજરમાત્ર જાહેર મિલકતો જ નહીં, પરંતુ ખાનગી મિલકતો પર પણ પરવાનગી વગર પ્રચાર કરવાના 140 કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જેમાં દીવાલ લેખન, પોસ્ટર અને બેનરોનો સમાવેશ થાય છે. જોકે, ખાનગી મિલકતો પર કાર્યવાહીની ગતિ થોડી ધીમી છે, જ્યાં અત્યાર સુધી માત્ર 40 સ્થળોએથી જ સામગ્રી હટાવવામાં આવી છે. આ ઉપરાંત, ચૂંટણી પ્રચારમાં વાહનોના નિયમ વિરુદ્ધ ઉપયોગ બદલ પણ 147 કેસો નોંધવામાં આવ્યા છે. તંત્ર દ્વારા વાહન ચેકિંગની કામગીરી પણ સઘન બનાવવામાં આવી છે. 1100થી વધુ મથકો પર વિશેષ વોચસુરત મનપા ચૂંટણી હેઠળ કુલ 2609 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે, જે 946 વિવિધ મતદાન સ્થળો પર ફેલાયેલા છે. ચૂંટણી પંચના વિશ્લેષણ મુજબ, આ પૈકીના 1137 મથકોને સંવેદનશીલ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં અગાઉના વિવાદો અથવા ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવશે. વોર્ડ નંબર 2 માં સૌથી વધુ 109 સંવેદનશીલ મથકો હોવાનું સામે આવ્યું છે, જે તંત્ર માટે વ્યૂહાત્મક રીતે મહત્વનું છે. મતદાન મથકોનું વર્ગીકરણ અને સુરક્ષાનું માળખુંતંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ મુજબ, સુરતમાં એક પણ મથક હાલ 'અતિ સંવેદનશીલ' શ્રેણીમાં નથી, જે રાહતના સમાચાર છે. પરંતુ, 156 એવા સ્થળો છે જ્યાં એક જ બિલ્ડિંગમાં 5 કે તેથી વધુ મતદાન મથકો આવેલા છે. આવા સ્થળોએ ભીડને નિયંત્રિત કરવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માઇક્રો-ઓબ્ઝર્વર્સ અને સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવશે. પોલીસ કમિશનર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવાની સૂચના આપવામાં આવી છે. સુરતના વિવિધ વોર્ડમાં મતદાન મથકોની સંખ્યા અને તેની સંવેદનશીલતા અલગ-અલગ છે. વોર્ડ નંબર 8 માં પણ 60 જેટલા મથકો સંવેદનશીલ છે. પ્રશાસન દ્વારા દરેક વોર્ડ માટે અલગ નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે જે દરરોજ આચારસંહિતાના અમલ અને સુરક્ષા વ્યવસ્થાનો રિપોર્ટ સોંપે છે. ખાસ કરીને લિંબાયત, વરાછા અને કતારગામ જેવા વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાયેલો હોવાથી ત્યાં વિશેષ પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ડિજિટલ મોનિટરિંગ અને સી-વિજિલ એપનો ઉપયોગઆ વખતે ચૂંટણીમાં ટેકનોલોજીનો પણ વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. આચારસંહિતા ભંગની ફરિયાદો નોંધવા માટે 'સી-વિજિલ' (cVIGIL) એપ પર નાગરિકો સક્રિય થયા છે. તંત્રને મળેલી મોટાભાગની ફરિયાદો ડિજિટલ માધ્યમથી પ્રાપ્ત થઈ છે, જેના પર 100 મિનિટની અંદર કાર્યવાહી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર થતા ફેક ન્યૂઝ અને ઉશ્કેરણીજનક પ્રચાર પર પણ સાયબર ક્રાઈમ ટીમ વોચ રાખી રહી છે.
રાજ્યના પાટનગરમાં પોલીસ કર્મચારીઓમાં વધી રહેલા આત્મહત્યાના બનાવોએ ચકચાર જગાવી છે. ત્યારે ગાંધીનગરમાં આજે વધુ એક જવાને મોતને વ્હાલું કરતા પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. SRP ગ્રુપ-2 માં કમાન્ડો તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય અજયભાઈ પટેલે સેક્ટર-20ની યુનિવર્સિટી સામેના બનેલા ઉચ્ચ અધિકારીઓ માટે બનાવેલા પણ ફાળવણીના અભાવે ખંડેર બની ગયેલા સરકારી ક્વાર્ટર્સમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બંગલા ફાળવણીના અભાવે ખંડેર બની ગયાગાંધીનગરના સેક્ટર-20 ખાતે આવેલી યુનિવર્સિટીની સામે IAS, IPS સહિતના ઉચ્ચ અધિકારીઓ માટે જે-તે સમયે બંગલો બનાવવામાં આવ્યા હતા. જોકે, કોઈ કારણોસર અમુક બંગલા ફાળવણીના અભાવે ખંડેર હાલતમાં બની ગયા છે. આજે મૂળ માણસાના હિંમતપુરા ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે પરિવાર સાથે રહેતા અજયભાઈ રમેશભાઈ પટેલ ગાંધીનગરના સેક્ટર-20માં આવેલા પોતાના નોકરીના સ્થળની બાજુના એક ખંડેર બંગલામાં પહોંચી ગયા હતા. સવારે ટિફિન લઈને નોકરી પર જવા નીકળ્યા પણ પહોંચ્યા નહીબાદમાં કોઈ અગમ્ય કારણોસર તેમણે ત્યાં દોરડી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. જેઓ એક ઉચ્ચ પોલીસ અધિકારીના ત્યાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. આજે સવારે નિત્યક્રમ મુજબ બંગલે અજયભાઈ નોકરીએ નહીં પહોંચતા ડીજી ઓફિસના ઉચ્ચ અધિકારીએ પરિવારને પૂછ્યું હતું ત્યારે જવાબ મળ્યો હતો કે, અજયભાઈ સવારે ટિફિન લઈને નોકરીએ આવવા નીકળ્યા છે પરંતુ, અજયભાઈ નોકરીએ નહીં પહોંચતા ઉચ્ચ અધિકારીએ તેમનું લોકેશન કઢાવી તપાસના આદેશો આપ્યા હતા. જેના પગલે ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. બાઈક બિનવારસી હાલતમાં મળી આવ્યું હતુંજોકે ટેકનિકલ સોર્સના માધ્યમથી અજયભાઈ પટેલ સેક્ટર 20 ખાતે જ હોવાનું સામે આવ્યું હતું. પરંતુ પોલીસ કાફલો લોકેશન ટ્રેક કરીને સેક્ટર 20 ખાતે પહોંચ્યો ત્યારે અજયભાઈનું બાઈક બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. જેના પગલે આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવતા તેઓ જ્યાં નોકરી હતી એના બાજુના ખંડેર બંધ હાલતના બંગલાના બાથરૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક અજયભાઈના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. પરંતુ કયા માનસિક તણાવ કે કારણોસર તેમણે આ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલમાં મૃતકનો પરિવાર ઘેરા શોકમાં હોવાથી તેમની વિસ્તૃત પૂછપરછ બાકી છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં પોલીસ જવાનોની આત્મહત્યાનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી. અગાઉ સચિવાલય સંકુલ જેવા અતિ સુરક્ષિત વિસ્તારમાં ફરજ બજાવતા કમાન્ડોએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે તે પૂર્વે સેક્ટર-7 પોલીસ મથકના એક જવાને પણ આત્મહત્યા કરી હતી. ટૂંકા ગાળામાં બનેલી આ ત્રીજી ઘટનાએ પોલીસ જવાનોના માનસિક સ્વાસ્થ્ય અને કામના ભારણ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. હાલમાં ગાંધીનગર પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે પરંતુ, સેકટર-21 પીઆઇ લતાબેન દેસાઈએ દર વખતની માફક ફોન રીસીવ નહીં કરી ભેદી ચુપકીદી સાધી લીધી છે.
સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં બિલ્ડરોના નામે ચાલતી છેતરપિંડીની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. તાજેતરમાં સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા (Eco Cell) એ એક મોટી સફળતા મેળવતા શહેરના જાણીતા બિલ્ડર ભરત ભરવાની ઉર્ફે ભરત સિંધીની ધરપકડ કરી છે. આરોપીએ દમણ ખાતે લક્ઝુરિયસ હોટલ અને ફ્લેટ બનાવવાનું સપનું બતાવી રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા હતા. ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આધારે પોલીસે કાર્યવાહી કરી આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. દમણમાં 'સ્કાયડેક' પ્રોજેક્ટના નામે ખેલાયો છેતરપિંડીનો ખેલઆ સમગ્ર કૌભાંડની વિગત એવી છે કે, બિલ્ડર ભરત ભરવાની અને તેના સાથીદાર વિજય મહેતાએ મળીને દમણના કથીરીયા વિસ્તારમાં આવેલી સર્વે નંબર 77/1(4) અને 77/1(5) ની અંદાજે 639.72 ચોરસ મીટર જમીન પર 'સ્કાયડેક' નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આરોપીઓએ ફરિયાદી અને અન્ય સાક્ષીઓને વિશ્વાસમાં લીધા હતા કે, આ જમીન તેમની સ્વતંત્ર માલિકીની છે અને ત્યાં તેઓ 11 માળનું ભવ્ય હોટલ કોમ્પ્લેક્સ તેમજ 3-સ્ટાર હોટલ અને ફ્લેટ્સ બનાવી રહ્યા છે. આ આકર્ષક સ્કીમમાં રોકાણ કરવાના બહાને તેમણે લોકો પાસેથી કુલ 1,07,62,000/- (એક કરોડ સાત લાખ બાસઠ હજાર) રૂપિયા પડાવી લીધા હતા. અધૂરું બાંધકામ અને અન્યને વેચાણઆરોપીની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ ચાલાકીભરી હતી. રોકાણકારો પાસેથી લાખો રૂપિયા લીધા બાદ આરોપીઓએ સાઈટ પર ફ્લેટનું કામ અધૂરું મૂકી દીધું હતું. જ્યારે ફરિયાદીઓએ તેમના ફ્લેટ અથવા નાણાં પરત માંગ્યા, ત્યારે બિલ્ડરે ગલ્લાતલ્લા કરવા માંડ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે, જે ફ્લેટ્સ ફરિયાદીઓને ફાળવવાનું વચન અપાયું હતું, તે જ ફ્લેટ્સ આરોપીએ અન્ય લોકોને વેચાણ દસ્તાવેજથી વેચી દીધા હતા. લોકો પાસેથી મેળવેલી રકમનો ઉપયોગ બિલ્ડરે પોતાના અંગત વપરાશ અને મોજશોખ માટે કરી નાખ્યો હતો, જેનાથી રોકાણકારો રસ્તે રઝળી પડ્યા હતા. સીટીલાઈટનો બિલ્ડર ક્રાઈમ બ્રાન્ચના સકંજામાંખટોદરા પોલીસ સ્ટેશનમાં 21 એપ્રિલ, 2026ના રોજ નોંધાયેલા ગુના બાદ ઇકો સેલ હરકતમાં આવ્યું હતું. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી ભરતભાઈ ઉર્ફે ભરત સિંધી મોહનભાઈ ભારવાની (ઉ.વ. 52, રહે. એ/101 મોનાલીઝા પાર્ક, સીટી લાઈટ, સુરત) ને ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે તેના દ્વારા આચરવામાં આવેલા અન્ય કૌભાંડોની વિગતો મેળવવા માટે રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપીના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. 6થી વધુ FIR અને 35 ચેક રિટર્ન કેસભરત સિંધી કોઈ નવો ગુનેગાર નથી, પરંતુ તે રીઢો છેતરપિંડી કરનાર હોવાનું પોલીસ રેકોર્ડ પરથી સાબિત થાય છે. તેની સામે અગાઉ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ત્રણ, અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં બે અને સચિન પોલીસ સ્ટેશનમાં એક મળી કુલ 6 જેટલા છેતરપિંડીના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત, તેની વિરુદ્ધ કોર્ટમાં 35 જેટલા ચેક રિટર્નના કેસો ચાલી રહ્યા છે. અગાઉ તેની સામે 'પાસા' (PASA) હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી, તેમ છતાં તેની ગુનાહિત પ્રવૃત્તિઓ અટકી ન હતી.
મહીસાગર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો માટે ગોલ્ડન તથા સિલ્વર નંબર સીરીઝની ઓનલાઈન હરાજી શરૂ કરવામાં આવી છે. આ હરાજીમાં ટુ-વ્હીલર માટે GJ-35-BA અને GJ-35-BB સીરીઝ, જ્યારે ફોર-વ્હીલર માટે GJ-35-N અને GJ-35-AA સીરીઝના નંબરો ઉપલબ્ધ રહેશે. વાહન વ્યવહાર કમિશનર કચેરીના પત્ર મુજબ, દિવ્યાંગજન માલિકીના મોટર વાહન માલિકો પણ આ ઓક્શનમાં ભાગ લઈ શકશે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 28 એપ્રિલ 2026ના રોજ સાંજે 04:00 કલાકથી શરૂ થઈ 30 એપ્રિલ 2026ના રોજ સાંજે 03:59 કલાક સુધી ચાલશે. ઈ-ઓક્શન 30 એપ્રિલ 2026થી શરૂ થઈ 02 મે 2026ના રોજ સાંજે 04:00 કલાક સુધી સમાપ્ત થશે. પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને http://parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઈ.ડી. અને પાસવર્ડ મેળવી હરાજીમાં ભાગ લેવાનો રહેશે. આ માટે વાહન વ્યવહાર કમિશ્નરની કચેરીના પરિપત્ર ક્રમાંક આઈ.ટી/પસંદગીનંબર/ઓનલાઈન ઓક્શન/7421, તા.12/10/2017 માં દર્શાવેલ સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત છે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ, એ બેમાંથી જે વહેલું હોય તે તારીખથી 7 દિવસની અંદર www.parivahan.gov.in વેબસાઇટ પરથી CNA ફોર્મ ભરી લેવાનું રહેશે. આવી અરજી કર્યાની તારીખથી 60 દિવસ સુધી અમલી ગણાશે. જો 60 દિવસમાં અરજદારને પસંદગીનો નંબર નહીં મળે, તો રજીસ્ટ્રેશન ઓથોરીટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે, જેની સામે અરજદાર કોઈ વાંધો લઈ શકશે નહીં. ખાસ નોંધ લેવી કે, આ 60 દિવસની મર્યાદા અરજદારને વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. તે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની 30 દિવસની મર્યાદામાં વધારો કરતી નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા પછી વાહન અનરજીસ્ટર્ડ ગણાશે અને નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. અરજદારે હરાજીની પ્રક્રિયા પૂરી થયાના 5 દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવાના રહેશે. જો અરજદાર આ નિયત મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશે, તો મૂળ ભરેલી રકમ (Base Price) જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે, જેમાં અરજદાર કોઈ વાંધો લઈ શકશે નહીં. ઓનલાઈન ઓક્શન દરમિયાન અરજદારે આર.બી.આઈ. દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારોને રિફંડ તેમના ખાતામાં SBI e-pay દ્વારા કચેરી દ્વારા પરત કરવામાં આવશે.
વસ્ત્રાલ મા પાટીદાર સમાજ દ્વારા મહાસંમેલન યોજાયું હતું. પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, વસ્ત્રાલ પાટીદાર સમાજ દ્વારા ભાજપના ચારેય ઉમેદવારોના ભવ્ય વિજય માટે સમાજ એકત્રિત થયો છે. સમાજે વિશેષ અપીલ કરતાં જણાવ્યું છે કે, 26મી તારીખે યોજાનાર ચૂંટણીમાં એક પણ મતદાર મતદાન કર્યા વગર ન રહે અને મોટી સંખ્યામાં ભાજપ પક્ષના પક્ષમાં મતદાન થાય. વધુમાં તેઓએ કહ્યું કે, આવતીકાલે ઉમરેઠમાં મતદાન યોજાનાર છે અને તેઓ ઉમરેઠના નિરીક્ષક તરીકે કામગીરી કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ઘણા વર્ષોથી સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. ઉમરેઠમાં ભાજપનો વિજય અગાઉ કરતાં વધુ લીડ સાથે થશેતેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોની પ્રશંસા કરતાં કહ્યું કે ગુજરાતને દેશનું નંબર વન રાજ્ય બનાવવા માટે અનેકવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. ઉમરેઠના સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અકાળે અવસાન બાદ, તેમની જગ્યાએ તેમના પુત્ર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારને ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પ્રદીપસિંહ જાડેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે લોકો તેમને ભવ્ય બહુમતીથી વિજયી બનાવશે. તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડબલ એન્જિન સરકાર હેઠળ ઉમરેઠ અને ચરોતર વિસ્તારમાં વિકાસને નવી ગતિ મળશે એવી આશા વ્યક્ત કરી. તેમણે દાવો કર્યો કે, ઉમરેઠમાં ભાજપનો વિજય અગાઉ કરતાં વધુ લીડ સાથે થશે.
નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. તમામ પક્ષોના ઉમેદવારો મતદારોને રીઝવવા સઘન પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન વોર્ડ નંબર 9માં ભાજપના ઉમેદવાર ધર્મેશ પટેલના પ્રચારમાં એક અનોખો દ્રશ્ય જોવા મળ્યું. તેમણે મહાત્મા ગાંધીનો વેશ ધારણ કરનાર એક યુવાન પાસેથી આશીર્વાદ મેળવ્યા, જે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગાંધીજીનું રૂપ ધારણ કરનાર આ યુવાન અન્ય કોઈ નહીં પણ સ્થાનિક નિવાસી તુષાર વ્યાસ છે. તુષારભાઈ છેલ્લા ઘણા વર્ષોથી એપ્રિલ મહિનામાં, ખાસ કરીને 6ઠ્ઠી એપ્રિલે, મહાત્મા ગાંધીનો વેશ ધારણ કરીને નીકળે છે. નોંધનીય છે કે તુષાર વ્યાસ અગાઉ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ મુલાકાત લઈ ચૂક્યા છે. ગાંધીજીના વેશમાં રહેલા તુષાર વ્યાસ પાસેથી શુભેચ્છાઓ મેળવ્યા બાદ ઉમેદવાર ધર્મેશ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, આજે પ્રચાર દરમિયાન વોર્ડ નંબર 9માં ભારતના ભીષ્મ પિતામહ ગણાય એવા ગાંધીજીના સ્વરૂપમાં મને જે આશીર્વાદ મળ્યા છે, તે બદલ હું તેમનો ખૂબ આભારી છું. તેઓ મારા જ વોર્ડમાં દિવ્ય સ્કૂલની બાજુમાં રહે છે. આ આશીર્વાદ મળવાથી હું રાજકારણમાં ધન્યતા અનુભવું છું. ભારતીય રાજકારણમાં ગાંધીજીના મૂલ્યોનું વિશેષ મહત્વ છે. ચૂંટણીના માહોલમાં 'ગાંધીજી'ના આશીર્વાદ મળતા કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશો માટે પણ આ ઘટના આકર્ષણનું કેન્દ્ર બની હતી. નવસારી મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં વોર્ડ નંબર 9નો જંગ હવે વધુ રસપ્રદ બન્યો છે.
પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલી ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીમાં 6ઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો હતો. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને યુનિવર્સિટીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં 130 વિદ્યાર્થીઓને ડિગ્રી અને 84 તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરાયા હતા. આ પ્રસંગે રૂ. 20 કરોડના ખર્ચે નિર્મિત ડિજિટલ હોસ્ટેલનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, કુલ 130 વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાઓમાં પદવી એનાયત કરાઈ હતી. જેમાં 46 Ph.D. સ્કોલર્સ (20 પુરુષ, 26 મહિલા), માસ્ટર પ્રોગ્રામના 44 વિદ્યાર્થીઓ (14 પુરુષ, 30 મહિલા) અને બેચલર પ્રોગ્રામના 40 વિદ્યાર્થીઓ (21 પુરુષ, 19 મહિલા)નો સમાવેશ થાય છે. શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ બદલ કુલ 84 વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરાયા હતા, જેમાં 42 ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અને 42 સિલ્વર મેડલનો સમાવેશ થાય છે. માસ્ટર પ્રોગ્રામના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને 09 ગોલ્ડ અને 05 સિલ્વર મેડલ અપાયા હતા, જ્યારે બેચલર પ્રોગ્રામમાં 09 ગોલ્ડ અને 12 સિલ્વર મેડલ આપવામાં આવ્યા હતા. યુનિવર્સિટી દ્વારા કુલ 30 ગોલ્ડ અને 25 સિલ્વર મેડલનું વિતરણ કરાયું હતું. રાજ્યપાલ આનંદીબેન પટેલે પદવીધારક વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે Ph.D. એ માત્ર એક પદવી નથી, પરંતુ એક નાનકડું સંશોધન છે. તેમણે સંશોધન માટે એવા વિષયો પસંદ કરવા પર ભાર મૂક્યો હતો જેનાથી સમાજને પ્રત્યક્ષ લાભ મળે અને ભવિષ્યમાં અન્ય લોકો તે વિષય પર આગળ કામ કરી શકે. તેમણે કાયદાના ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જેલમાં સજા ભોગવતા પીડિતો અને મિલકત કે હિસ્સાથી વંચિત મહિલાઓના પ્રશ્નો પર સંશોધન કરી તેમને ન્યાય અપાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ખોડલધામના ટ્રસ્ટી અનારબેન પટેલ, જયેશ પટેલ અને એમ. એસ. રાવ દ્વારા તમામ એવોર્ડ વિજેતાઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા. NAAC A ગ્રેડ ધરાવતી આ યુનિવર્સિટીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શૈક્ષણિક સ્ટાફ હાજર રહ્યો હતો. યુનિવર્સિટીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓને સફળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અંતમાં રજિસ્ટ્રાર ચેતનસિંહ વાઘેલા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને રાષ્ટ્રગીત સાથે સમારોહ પૂર્ણ થયો હતો.
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર ભારતીય કેરીના નિકાસ બજાર પર પડી છે. આંતરરાષ્ટ્રીય શિપિંગ સેવાઓ ખોરવાઈ જવાને કારણે કેરીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે, અને મહારાષ્ટ્રથી ગલ્ફ દેશોમાં મોકલાવેલા લગભગ 360 જેટલા કન્ટેનર ગુમ થયા હોવાના અહેવાલ છે. ઉનાળાની સિઝન હોવા છતાં, કેરીનો ભાવ અગાઉના ₹2100 પ્રતિ મણથી ઘટીને હવે ₹1800 (ચોખ્ખો માલ) પર આવી ગયો છે. મુંબઈથી દર સિઝનમાં 12 હજાર મેટ્રિક ટનથી વધુ કેરીનો સપ્લાય થતો હતો. અગાઉ જ્યાં દરરોજ 400 કન્ટેનર વિદેશ રવાના થતા હતા, તેની સામે હાલ માત્ર 25 કન્ટેનર જેટલી જ નિકાસ થઈ રહી છે, જે 90% થી વધુનો ઘટાડો દર્શાવે છે. સૌથી ગંભીર સ્થિતિ મહારાષ્ટ્રથી ગલ્ફ કન્ટ્રીઝ મોકલાવેલા કન્ટેનરની છે. લગભગ 360 કન્ટેનર ગુમ અથવા મિસિંગ હોવાનું જાણવા મળ્યું છે. દુબઈના જુબેલલી પોર્ટ પર માલ ઉતારવાની મંજૂરી ન મળતા લાખોની કિંમતની કેરી અધ્ધરતાલ થઈ ગઈ છે. અરબ દેશોમાં કેરી મોકલવા માટે હોરમર્સ સ્ટેટ થઈને શિપ જતી હોય છે, જ્યાં યુદ્ધની સ્થિતિને કારણે શિપિંગ સેવાઓ ખોરવાઈ છે. આ સ્થિતિને કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અખાત્રીજના મુહૂર્ત સમયે માર્કેટમાં 5 હજાર ગાડીઓની આવક થઈ હતી, પરંતુ લેવાલીના અભાવે વેપારીઓને નુકસાન વેઠવું પડ્યું છે. હાલમાં મિડલ ઈસ્ટની સ્થિતિ જોતા વેપારીઓ 'વેટ એન્ડ વોચ'ની સ્થિતિમાં છે અને નવો માલ મોકલતા ગભરાઈ રહ્યા છે. વેપારીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, વિદેશમાં માલસામાન વહન કરવા માટે ભારતની પોતાની એકપણ મોટી શિપિંગ કંપની નથી. આ કારણે ભારતીય વેપારીઓએ વિદેશી શિપિંગ કંપનીઓની મનમાની અને ઊંચા ભાડા સહન કરવા પડે છે.
વેરાવળ નગરપાલિકા ચૂંટણીને લઈ હવે રાજકીય ગરમાવો સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. પ્રચારના અંતિમ તબક્કા નજીક આવતા તમામ પક્ષો મતદારોને આકર્ષવા માટે પૂરેપૂરો જોર લગાવી રહ્યા છે. આ વચ્ચે ભાજપ દ્વારા આજે યોજાયેલ ભવ્ય રોડ શોએ શહેરના રાજકીય માહોલમાં નવી ચેતના ફૂંકી દીધી છે. શહેરના 80 ફૂટ રોડ પર આવેલ ભાજપના મધ્યસ્થ કાર્યાલયથી શરૂ થયેલો આ રોડ શો મુખ્ય બજારો, વ્યસ્ત માર્ગો અને રાજમાર્ગો પરથી પસાર થઈ અંદાજે પાંચ કિલોમીટર સુધી ફર્યો હતો. માર્ગમાં જ્યાં જ્યાં રોડ શો પસાર થયો ત્યાં ભાજપના ઝંડા, બેનરો અને સૂત્રોચ્ચારથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. કાર્યકરોનો ઉત્સાહ અને લોકોની ભીડે રોડ શોને જીવંત બનાવ્યો હતો. આ રોડ શોની સૌથી વિશેષ આકર્ષણ બની લોકપ્રિય લોકગાયિકા અને ઉના નગરપાલિકા ભાજપ ઉમેદવાર રાજલ બારોટ. ડીજેના તાલે તેમણે રજૂ કરેલા ભાજપ સમર્થનના ગીતોએ કાર્યકરોમાં નવી ઊર્જા ભરી દીધી હતી. સંગીતના તાલ સાથે નાચતા કાર્યકરો અને સમર્થકોનું દ્રશ્ય શહેરમાં ચૂંટણી ઉત્સવ જેવી લાગણી ઉભી કરતું હતું. કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી ભાવનાબેન હીરપરા, જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. સંજય પરમાર, શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણીયા સહિત ભાજપના આગેવાનો, ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. તમામે મળીને પક્ષની એકતા અને સંગઠન શક્તિનું પ્રદર્શન કર્યું હતું. રોડ શો દરમિયાન જૈન દેરાસર ચોક ખાતે ભાજપના બિનહરીફ ઉમેદવાર પ્રહલાદ શામળા અને તેમના સમર્થકો દ્વારા પુષ્પવર્ષા કરીને આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમનો યાદગાર પળ બની રહ્યો હતો. ચૂંટણી પ્રચાર હવે અંતિમ ચરણમાં પ્રવેશી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા આવી આક્રમક રણનીતિ અપનાવીને મતદારોમાં પોતાની પકડ મજબૂત કરવાની કોશિશ સ્પષ્ટ જોવા મળે છે. ભવ્ય રોડ શો અને શક્તિપ્રદર્શન દ્વારા ભાજપે ચૂંટણીનો માહોલ પોતાના પક્ષે વાળવાનો પ્રયત્ન કર્યો છે. હવે જોવાનું એ રહ્યું કે આ પ્રચારનો જોર મતદાન સુધી કેટલો જળવાઈ રહે છે અને મતદારો આ પ્રભાવને કેટલો સ્વીકાર આપે છે. આખરે, આ શક્તિપ્રદર્શનનો સાચો પરિચય તો મતગણતરીના દિવસે જ મળશે.

30 C