રાજ્યના આર્થિક પાટનગર એવા અમદાવાદમાં PM મોદી દ્વારા ઉદ્ધાટન કરવામાં આવેલી 800 કરોડના ખર્ચની સરદાર વલ્લભભાઈ પટેલ (SVP)માં યોગ્ય સારવાર ન મળતી હોવાની ફરિયાદ અને કોઈપણ વ્યક્તિ સારવાર માટે SVPમાં ન જાય તેવી એપીલ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. મહિલા દર્દીની પુત્રી દ્વારા તેની માતા સારી પરિસ્થિતિમાં સારવાર માટે SVP હોસ્પિટલમાં આવ્યા હતા, પરંતુ તેમની હાલત અત્યંત ગંભીર થઈ ગઈ હતી અને ICUમાં તેમને રાખવામાં આવ્યા હતા. SVP હોસ્પિટલમાં સારવાર કરવામાં આવતી ન હોવા અંગેનો વીડિયો બનાવી શેર કરવામાં આવતા તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે. SVP હોસ્પિટલના CEO દ્વારા સુપ્રિટેન્ડેન્ટ પાસે સમગ્ર ઘટના અંગે અને દર્દીની માહિતી માંગવામાં આવી છે અને તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. 'તેમને ચાર દિવસ સામાન્ય વોર્ડમાં રાખવામાં આવ્યા'અમદાવાદની ક્ષિતિષા સોની નામની યુવતી દ્વારા સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ કરવામાં આવ્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, મારી માતા ગીરા સોનીને ડાયાબિટીસ અને અસ્થમાની તેમને તકલીફ હતી. ખાંસી વધારે આવતી હોવાથી તેમની સારવાર માટે 21 ફેબ્રુઆરી શનિવારે SVP હોસ્પિટલમાં આવ્યા હતા. ચાર દિવસ સામાન્ય વોર્ડમાં તેમને રાખવામાં આવ્યા હતા. 'અસ્થમાનો એટેક આવતા બ્રોન્સ્કોપક્રોપી કરાઈ નથી'તેમને બ્રોન્સ્કોપક્રોપી એટલે કે આંતરડામાં કેમેરો નાખીને કફ કાઢવામાં આવે છે. બ્રોન્સ્કોપક્રોપી સારવાર દરમિયાન તેમને અસ્થમાનો અટેક આવ્યો હતો. તેઓએ કહ્યું હતું કે તેમની બ્રોન્સ્કોપક્રોપી થઈ જ નથી. એટલે એમને વેન્ટિલેશન પર લઈ જવાના હતા. હું કલાક સુધી બહાર રાહ જોતી હતી અને વોર્ડના એક વ્યક્તિએ ત્યાં આવીને કહ્યું હતું કે, બ્રોન્સ્કોપક્રોપી થઈ રહી છે, પરંતુ મને કોઈએ કહ્યું હતું કે, જો અસ્થમાનો એટેક આવતા બ્રોન્સ્કોપક્રોપી કરાય નહી છતાં પણ તેમણે કરી હતી. 'હૃદય 50% ચાલે છે અને કોઈને કોઈ પેપર પર સહી કરાવે છે'જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તમે બ્રોન્સ્કોપક્રોપી કેમ કરી તો તેમણે જણાવ્યું હતું કે, સારવાર દરમિયાન એટેક આવ્યો હતો અને સ્ટેટમેન્ટમાં તેમણે બદલાવ કરી દીધો હતો. મારી માતાને 10માં માળે આવેલા ICUમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની તબિયત ખરાબ થતી જ જાય છે અને તેમના પેટમાં પાણી ભરાઈ ગયું છે. હૃદય પણ 50 ટકા ચાલે છે અને દરરોજ કોઈને કોઈ પેપર ઉપર સહી કરાવતા જતા હતા. 'ICUમાંથી કોઈપણ વ્યક્તિ ખુશ થઈને નીકળ્યું નથી'શરીરના અલગ અલગ અવયવોનું લખીને સહી કરાવતા હતા. ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું હતું અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ સતત વધી રહ્યું હતું. બીજા દર્દીઓની પણ આવી જ સ્થિતિમાં છે કે જેમનું ઓક્સિજન ઘટી રહ્યું છે અને કાર્બન ડાયોક્સાઇડ વધી રહ્યું છે. એસવીપી હોસ્પિટલમાં આઈસીયુમાંથી કોઈપણ વ્યક્તિ અહીંયાથી ખુશ થઈ અને સારી રીતે નીકળ્યું નથી. દર્દીની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી છે અને પેપરોના ફોટા પાડવાની વાત કરી તો ના પાડી હતી. 'શું તમે બધા અવયવોની સહી લેવા માંગો છો'તેમને કહ્યું હતું કે શું તમે બધા અવયવોની સહી લેવા માંગો છો. એવું લાગી રહ્યું હતું કે, આયુષ્યમાન કાર્ડના મફતના તેઓ દ્વારા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. તેમની ઉપર પ્રયોગ કરવામાં આવી રહ્યા હોય તેવું લાગતું હતું. 'ICUમાં જોવા ગઈ ત્યારે તેમની આંખો કાળી થઈ ગઈ હતી'સિનિયર ડોક્ટર માત્ર એક જ વાર આવે છે, જ્યારે તેમને ICUમાં હું જોવા માટે ગઈ ત્યારે તેમની આંખો આખી કાળી થઈ ગઈ હતી અને મોઢા ઉપર માસ્ક લગાવવામાં આવ્યું હતું. એટલું જોરથી માસ્ક લગાવવામાં આવ્યું હતું કે, તેમને કહ્યું હતું કે તેમની આંખો જોઈ શકાય એવી સ્થિતિમાં નહોતી. આખી આવું રહ્યું ત્યારે હું સવારે મમ્મીને મળવા ગઈ ત્યારે એક વોર્ડનો માણસ હતો અને તેમના માસ્કને જોરથી દબાવતા હતા. 'ઘણી વિનંતી બાદ નગરી હોસ્પિટલમાંથી ડોક્ટરને બોલાવ્યા'ઘણી બધી વિનંતીઓ અને રોકકડ બાદ ડોક્ટરો બોલાવો હું તમને પૈસા આપું છું. ઘણી વિનંતી બાદ તેઓએ નગરી હોસ્પિટલમાંથી આંખના ડોક્ટરને બોલાવ્યા હતા. મને સમજાતું નથી કે કેવી રીતે આ અહીંયા સારવાર કરવામાં આવી રહી છે. કોઈ પ્રયોગ કરવામાં આવ્યા છે કે શું થઈ રહ્યું છે એની ખબર નથી. સારી પરિસ્થિતિમાં તેઓ તેમના માતાને લઈને આવ્યા હતા, પરંતુ ખરાબ હાલત થઈ ગઈ છે. 'શરીરમાં હાથમાં એટલા બધા પંચર કરી નાખવામાં આવ્યા'SVP હોસ્પિટલમાં આંખના કોઈ ડોક્ટર નથી અને બીજા ડોક્ટરને બોલાવતા તેમને આંખે પાણી આવી ગયા હતા. બાદમાં તેમણે ડોક્ટરને બોલાવ્યા અને આંખોમાં પટ્ટી બાંધી હોવાનું કહ્યું હતું. આંખોમાં કોઈ નસમાં કે અન્ય જગ્યાએ હેમરેજ થઈ રહ્યું છે અને તેમના હાથ પણ બાંધી દેવામાં આવ્યા છે. શરીરમાં હાથમાં એટલા બધા પંચર કરી નાખવામાં આવ્યા છે કે હવે તેમને નસ મળી રહી નથી અને ગળામાં નાખવામાં આવ્યું છે. 'SVP હોસ્પિટલમાં દાખલ થવાય નહીં'ઉલટીઓ થવાની અને પાણી તેમજ ખાવાનું કશું આપી ન શકાય તેવી સ્થિતિમાં હતી. મને ભવિષ્યમાં કોઈ પણ કહેશે કે SVP હોસ્પિટલમાં દાખલ થવાય તો મારી ખાસ વિનંતી અને ના છે કે દાખલ થવાય નહીં. યુવતીએ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. જે વીડિયો હોસ્પિટલ તંત્રના અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર શહેરમાં રિવરફ્રંટ નજીક કારના બોનેટ પર બેસીને રીલ બનાવવી ત્રણ મિત્રોને ભારે પડી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બી ડિવિઝન પોલીસે ત્રણેય યુવકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના એમ.પી. શાહ આર્ટ્સ કોલેજના ઢાળ પાસે આવેલા શ્રીમદ રાજચંદ્ર સર્કલ નજીક નવા બનેલા રિવરફ્રંટ ખાતે બની હતી. યુવકો GJ-09-BD-4457 નંબરની અલ્ટો કારના બોનેટ પર બેસીને રોફ જમાવતા જોવા મળ્યા હતા. વઢવાણના ઉપાસના સર્કલ પાસે દૂધની ડેરી નજીક રહેતા નટુભાઈ બચુભાઈ દેથરીયા અને તેમના મિત્રોએ આ વીડિયો બનાવ્યો હતો. તેમણે કારના બોનેટ પર બેસીને જાહેર માર્ગ પર ગાડી ચલાવી હતી અને તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વાયરલ વીડિયો સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસના ધ્યાને આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ત્રણેય મિત્રોને શોધી કાઢી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા અસ્મિતા લીગ (Achieving Sports Milestone by Inspiring Women Through Action) નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલ જિલ્લા પ્રશાસન, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI), MY Bharat અને જિલ્લા રમતગમત કચેરીના સંકલનથી યોજાશે. અસ્મિતા લીગ એ ખેલો ઇન્ડિયા યોજના હેઠળ Sports for Women ને પ્રોત્સાહન આપતી એક મુખ્ય પહેલ છે. તેનો મુખ્ય હેતુ દેશભરની દીકરીઓ અને મહિલાઓમાં રમતગમત પ્રત્યે વ્યાપક ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. આ લીગમાં 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડ જેવી એથ્લેટિક્સ સ્પર્ધાઓ તેમજ અન્ય મનોરંજક પ્રવૃત્તિઓનો સમાવેશ થશે. સ્પર્ધા ત્રણ વય જૂથોમાં યોજાશે: અન્ડર-13 વર્ષ, 13 થી 18 વર્ષ અને 18 વર્ષથી વધુ. સુરેન્દ્રનગર જિલ્લામાં આ સ્પર્ધા 8 માર્ચ, 2026 ના રોજ જિલ્લા સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર, લીમડી ખાતે યોજાશે. તમામ ભાગ લેનારોએ સવારે 7:30 વાગ્યે રિપોર્ટિંગ કરવાનું રહેશે. જિલ્લાની તમામ દીકરીઓ અને મહિલાઓને આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા વિનંતી કરવામાં આવી છે. અસ્મિતા લીગ માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ રમતગમત દ્વારા આત્મવિશ્વાસ, હિંમત અને મહિલા સશક્તિકરણનો ઉજાસ ફેલાવવાનું એક માધ્યમ છે. તમામ શાળાઓ, મહાવિદ્યાલયો, વાલીઓ અને સમાજના આગેવાનોને અપીલ છે કે તેઓ દીકરીઓ અને મહિલાઓને નોંધણી માટે પ્રોત્સાહિત કરે અને આ પ્રતિષ્ઠિત પહેલમાં સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરે. નોંધણી માટે mybharat.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકાય છે અથવા પ્રદાન કરેલા QR કોડને સ્કેન કરી શકાય છે.
મોરબીમાં આપઘાતના બે બનાવ:લાલપર પાસે યુવાન, મકનસરમાં યુવતીએ ગળાફાંસો ખાધો
મોરબી જિલ્લામાં આપઘાતના બે અલગ-અલગ બનાવ સામે આવ્યા છે. લાલપર ગામ પાસે એક યુવાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે, જ્યારે મકનસર ગામે એક યુવતીએ પણ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. બંને ઘટનાઓની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ બનાવ મોરબીના લાલપર ગામ પાસે આવેલી ઇપોસ સ્ટાઈલ કોલોનીના લેબર ક્વાર્ટરમાં બન્યો હતો. અહીં રહેતા 21 વર્ષીય નીરજ ઓમાન નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઈ લીધો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના અંગે સાગરભાઈ શાંતિલાલ વરમોરાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસે આપઘાતનો ગુનો નોંધી મૃતક યુવાને કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં તપાસ શરૂ કરી છે. બીજો બનાવ મોરબી-વાંકાનેર હાઈવે રોડ પર આવેલા મકનસર ગામે બન્યો હતો. અહીં રહેતા બીપીનભાઈની 20 વર્ષીય દીકરી રિયાબેને કોઈ કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. યુવતીના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ મારફતે આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
SP યુનિવર્સિટીમાં નેશનલ કોન્ફરન્સ:50થી વધુ પેપર્સ રજૂ, નિષ્ણાતોએ કહ્યું: ભારતીય વારસા પર સંશોધન કરો
સરદાર પટેલ યુનિવર્સિટીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલ (RDC) દ્વારા તાજેતરમાં બે દિવસીય 'રિસર્ચ સ્કોલર્સ મીટ 2026'નું આયોજન કરાયું હતું. PM-USHA દ્વારા પ્રાયોજિત આ નેશનલ કોન્ફરન્સમાં હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સના આંતરશાખાકીય સંશોધનો પર ચર્ચા કરવામાં આવી હતી. આદિ શંકરાચાર્ય ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણવિદોએ માતૃભાષા અને ભારતીય જ્ઞાન પરંપરાને સંશોધનનો પાયો બનાવવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટી ગીત અને દીપ પ્રાગટ્ય સાથે થઈ હતી. ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય વક્તા ડૉ. ઓમ જી ઉપાધ્યાયે જણાવ્યું કે માતૃભાષા સાથે ક્યારેય સમાધાન ન થઈ શકે અને બાળકોને પોતાની ભાષામાં શીખવવામાં આવે તો જ તેમની સર્જનાત્મકતા ખીલે છે. કુલપતિ પ્રો. નિરંજન પટેલે સંશોધકોને 'કોપી-પેસ્ટ'ની પ્રવૃત્તિથી દૂર રહી ગૌરવશાળી ભારતીય વારસા પર મૌલિક સંશોધન કરવા પ્રેરિત કર્યા હતા. પ્લીનરી સેશનમાં ડૉ. પ્રફુલ કેતકરે એકાત્મ દ્રષ્ટિ અને ભારતીય જ્ઞાન પરંપરા વિશે ઊંડાણપૂર્વક વાત કરી હતી. ત્યારબાદ યોજાયેલા સંશોધન પત્ર પ્રસ્તુતિ સત્રોમાં 50થી વધુ વિદ્યાર્થીઓએ તેમના પેપર્સ રજૂ કર્યા હતા. આ સત્રોમાં પ્રો. ભરત પંડ્યા, પ્રો. હિતેશ પટેલ, ડૉ. સ્નેહા બજાજ અને અન્ય તજજ્ઞોએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. કોન્ફરન્સના બીજા દિવસે ડૉ. દીપેશ કાટીરાએ સંસ્કૃત અને આધુનિક ભાષાઓના આંતર-સંબંધો સમજાવ્યા. પ્રો. કમલ મહેતાએ સાહિત્ય દ્વારા સામાજિક સમસ્યાઓના ઉકેલ પર પ્રકાશ પાડ્યો હતો. અંતિમ સત્રમાં ડૉ. દિલીપ બરાડે AI ના યુગમાં માનવીય અસ્તિત્વ અને ડિજિટલ હ્યુમેનિટીઝ વિશે માહિતી આપી હતી. સમાપન સત્રમાં મુખ્ય અતિથિ મિતેશ જેસ્વાલે સંશોધકોને પાયાની સમસ્યાઓ ઉકેલવા પર ભાર મૂકવા જણાવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને 'શીલ્ડ' આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રથમ ક્રમે વિક્રમકુમાર ગોહેલ, લોપા રાવલ, ભાર્ગવ કાપડી, બબિતા દ્વિવેદી, જીમલ પટેલ અને શેખ ઈમરોઝબાનુ વિજેતા રહ્યા હતા. દ્વિતીય ક્રમે જ્યોતિ શર્મા, પ્રાંજલ પંડ્યા, નેહા પરમાર, શશાંક પટેલ, રાજેશ હેગડે, જાગૃતિબેન રાઓલજી અને સૌરવ કોટાડિયા વિજેતા બન્યા હતા. તૃતીય ક્રમે ચિરાગ શર્મા અને રુત્વી શાહ વિજેતા જાહેર થયા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા કન્વીનર પ્રો. પારુલ પોપટ, પ્રો. વસંત પટેલ, પ્રો. અરુણ આનંદ અને અંજુમ દિવાન સહિતના પીએચ.ડી. શોધકર્તાઓની ટીમે જહેમત ઉઠાવી હતી.
ભાવનગર વરતેજ પોલિસે નવાગામ (ચિરોડા) પાવર હાઉસના પાછળના ભાગે ખીજડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં દરોડો પાડી જાહેરમાં હારજીતનો જુગાર રમતા 5 શખ્સોને ગંજીપત્તા અને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તમામ વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમુક શખસો જાહેરમાં જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળીવરતેજ પોલિસ મથકેથી મળતી માહિતી અનુસાર, વરતેજ પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોળીના તહેવારને લઈ પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન બાતમી મળી કે, નવાગામ (ચિરોડા) પાવર હાઉસની પાછળના ભાગે આવેલા ખીજડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેર જગ્યામાં કેટલીક વ્યક્તિઓ ગંજીપત્તાના પાના વડે હાર-જીતનો જુગાર રમે છે. જુગાર રમતાં 5 શખસોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીપોલીસને મળેલી બાતમી આધારે, સ્થળ પર રેડ કરી અને તપાસ દરમિયાન શૈલેષ હિમતભાઈ મકવાણા રહે.નવાગામ (ચિરોડા), રાહુલ રમેશભાઈ મેર રહે. નવાગામ (ચિરોડા), શૈલેષ કલાભાઈ ડાભી રહે. કરદેજ ગામ, ભરત શૈલેષભાઈ ગોહેલ રહે. નવાગામ (ચિરોડા), ડાયા માવજીભાઈ મેર રહે. નવાગામ (ચિરોડા)ના રહેવાસીઓને ગંજીપત્તા અને રોકડ રૂ. 2410 સાથે ઝડપી પાડવામાં આવ્યા. કુલ 2410નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી અને શખ્સો વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
કચ્છના મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અદાણી પોર્ટમાં થયેલી એલ્યુમીનીયમ અને કોપર વાયરની ચોરીનો ભેદ રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઉકેલી રાજસ્થાન, મુન્દ્રા અને સુરેન્દ્રનગરનાં ત્રણ આરોપીઓને ઝડપી પાડી કુલ 57 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટિમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજકોટ મોરબી હાઇવે પરથી ટ્રકને અટકાવી ટ્રકમાં સવાર જેતારામ પોકરરામ બલીયારા (ઉ.વ.50), પ્રિતેશ અમૃતલાલ રામાણી (ઉ.વ.28) અને યુવરાજસિંહ નટુભા ઝાલા (ઉ.વ.32)ને પકડી પાડી રૂ.45 લાખની કિંમતનો એલ્યુમિનિયમ અને કોપર વાયરનો ભંગાર, ટ્રક અને કન્ટેનર મળી રૂ.57 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં રૂ.5 લાખની કિંમતનો 10 ટન સ્ક્રેપની ચોરી થવા મામલે ફરિયાદ નોંધાઈ છે. સિનિયર સિટિઝનને ટાર્ગેટ કરતી રીક્ષા ગેંગ ઝડપાઈરાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ટિમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે ચોક્કસ બાતમીના આધારે રીક્ષા ગેંગને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેરમાં સિનિયર સિટિઝનને ટાર્ગેટ કરી રિક્ષામાં બેસાડી નજર ચૂકવી રોકડ તેમજ સોના ચાંદીના ઘરેણાં ઓળવી લેતી ગેંગના ત્રણ સભ્યો કુલદીપ પરમાર, રાજેશ પરમાર અને અશ્વિન મીઠાપરાને ઝડપી પાડી તેની પાસેથી સોનાનો ચેન, સોનાનું પેન્ડલ સોનાનો પાટલો અને એક રીક્ષા મળી કુલ 4.82 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માદક પદાર્થ કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપી વિરુદ્ધ PIT હેઠળ કાર્યવાહીરાજકોટ શહેર વિસ્તારમાં અગાઉ ગેરકાયદેસર માદક પદાર્થના જથ્થા સાથે પકડાયેલા ઇસમો વિરૂદ્ધ PIT NDPS કાયદા હેઠળ દરખાસ્તો તૈયાર કરવા સૂચના મળતા શહેર SOG દ્વારા કિશન સુરેશભાઈ નાયડુ (ઉ.વ.19) વિરુદ્ધ વોરન્ટ ઇશ્યુ કરતા હુકમની બજવણી કરવામાં આવી હતી. જેથી આજરોજ SOG દ્વારા કિશન સુરેશભાઈ નાયડુની અટકાયત કરી સુરત લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો છે. આરોપી કિશન સુરેશભાઈ નાયડુ વિરુદ્ધ અગાઉ વર્ષ 2025માં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ ચુકી હોવાનું સામે આવ્યું છે. PCBએ 1.24 લાખના દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો રાજકોટ શહેર PCB ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મવડી પાળ રોડ પર શ્રીરામ ચોક પાસે એક ઓટો રિક્ષામાંથી આરોપી ઋત્વિક ઉર્ફે રઘો જીપ્લોટ (ઉ.વ.22)ને રૂપિયા 1.24 લાખની 180 MLની 432 વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં વધુ બે આરોપી વિજય ઉર્ફે ટીટો ભટ્ટી અને તુષાર ઓડનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે. હાલ પોલીસે કુલ 1.64 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના વિશ્વકર્મા મંદિરમાં ધુળેટીની ઉજવણી:ભક્તિભાવ અને કીર્તન સાથે પાવન પ્રસંગ ભવ્ય રીતે ઉજવાયો
વડોદરાના ન્યાલકરણ વ્યુ સામે, ખોડીયાર નગર સ્થિત શ્રી વિશ્વકર્મા મંદિરમાં વિશ્વકર્મા સમાજ દ્વારા ધુળેટીનો પાવન પ્રસંગ ભક્તિભાવ અને આનંદ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ અવસરે મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના અને આરતીનું આયોજન કરાયું હતું. આ પાવન અવસરે ભક્તોએ ધુળેટીના કીર્તનોની રમઝટ સાથે ભક્તિમય માહોલ સર્જ્યો હતો. રંગો અને આનંદ વચ્ચે ભજન-કીર્તન દ્વારા સૌએ વિશ્વકર્મા દાદાને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો. મંદિર પરિસર ભક્તિ, ઉત્સાહ અને શ્રદ્ધાથી ગુંજી ઉઠ્યું હતું, અને સૌએ આનંદપૂર્વક આ પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી. ભક્તોએ એકબીજાને રંગ લગાવીને ધુળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી. વિશ્વકર્મા મંદિરના પ્રમુખ રામગણેશ વિશ્વકર્માએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સમાજની અંદર ભાઈચારો અને એકતા વધે તે હેતુથી દર વર્ષે ધુળેટીનો કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે. આવા પાવન પ્રસંગો સમાજને એક મંચ પર લાવી પરસ્પર સ્નેહ અને સૌહાર્દ મજબૂત બનાવે છે. આ કાર્યક્રમમાં વિશ્વકર્મા સમાજના ઉપપ્રમુખ પન્નાલાલ વિશ્વકર્મા તેમજ કમિટી સભ્યો, સમાજના સભ્યો અને ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌએ મળીને આનંદ અને ભક્તિભાવ સાથે ધુળેટીનો તહેવાર ઉજવી સમાજમાં એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો. કાર્યક્રમના અંતે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા યુવાને તેના મામાના દીકરાને આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા મામાના દીકરાએ યુવક પર લાકડાથી હુમલો કર્યો હતો. યુવાનને અપશબ્દો બોલી ઝઘડો કરી માથાના ભાગે માર મારી ઈજા પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે ભરતનગર પોલીસે શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રૂપિયા આપવા ઈનકાર કરી અપશબ્દો બોલવા લાગ્યોભરતનગર પોલીસ મથકથી મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના ભરતનગરના કૈલાસનગરમાં રહેતા રાહુલભાઈ ભોપાભાઈ પરમારે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓ પોતાના પિતા, માતા, મોટા બાપુના દીકરા તેમજ પ્રવીણભાઈ કરપીરામભાઈ સાથે ઘરે હાજર હતા, ત્યારે તેમના મામાનો દીકરો દેવપ્રસાદ સુખલાલભાઈ રાઠોડ ઘરે આવ્યો હતો. આ દરમિયાન રાહુલભાઈએ દેવપ્રસાદને અગાઉ આપેલા રૂપિયા 7000 પરત માંગતા તેણે રૂપિયા આપવા ઈનકાર કરી અપશબ્દો બોલવા લાગ્યો હતો. રાહુલના માથાના ભાગે લાકડું ફટકારી ઈજા પહોંચાડીઅપશબ્દો બોલવાની ના પાડતાં દેવપ્રસાદે ઘરમાં પડેલું લાકડું લઈને રાહુલભાઈના માથાના ભાગે ફટકારી ઈજા પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત રાહુલભાઈને સારવાર અર્થે સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેની ફરિયાદના અનુસંધાને ભરતનગર પોલીસે દેવપ્રસાદ સુખલાલભાઈ રાઠોડ રહે. ભાવનગર સામે BNS કલમ 115(2), 352, 351(3) તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આજે રાજ્યમાં ધૂળેટીના પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી, પરંતુ આ ઉજવણી વચ્ચે રાજ્યમાં ઈમરજન્સી કેસોની સંખ્યામાં પણ મોટો વધારો જોવા મળ્યો છે. આજે સાંજે 6 વાગ્યા સુધીના મળેલા આંકડાઓ મુજબ, સમગ્ર રાજ્યમાં ઈમરજન્સી સેવાઓ પર ભારણ વધ્યું છે. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યભરમાં કુલ 3,796 ઈમરજન્સી કેસો નોંધાયા છે. સામાન્ય દિવસો કરતા ઈમરજન્સી કેસોમાં ઉછાળોસામાન્ય દિવસોમાં સરેરાશ 3,266 કેસો નોંધાતા હોય છે, જેની સરખામણીએ આજે 530 વધુ કેસો નોંધાયા છે. એટલે કે રાજ્યમાં કુલ 16.22% નો વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 723 કેસો સાથે યાદીમાં સૌથી વધુ છે. સુરતમાં કેસોમાં ધરખમ 50.93%નો વધારો નોંધાયો છે (કુલ 455 કેસ). અરવલ્લીમાં ટકાવારીની દ્રષ્ટિએ અરવલ્લીમાં સૌથી વધુ 63.39%નો ઉછાળો જોવા મળ્યો છે. અન્ય જિલ્લાઓની વાત કરીએ તો, મોરબી, તાપી અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં પણ સામાન્ય દિવસો કરતા વધુ ઈમરજન્સી કેસો સામે આવ્યા છે. તમામ ઈમરજન્સી સેવાઓને એલર્ટ પર રાખવામાં આવીકેટલાક જિલ્લાઓ જેમ કે જૂનાગઢ, આણંદ અને સુરેન્દ્રનગરમાં સામાન્ય દિવસો કરતા કેસોમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. તહેવારના દિવસે માર્ગ અકસ્માતો, મારામારી અને અન્ય તબીબી ઈમરજન્સીને કારણે આ આંકડો વધ્યો હોવાનું અનુમાન છે. તંત્ર દ્વારા તમામ ઈમરજન્સી સેવાઓને એલર્ટ પર રાખવામાં આવી છે. જાણો ક્યાં શહેરોમાં કેટલા કેસ નોંધાયાઅમદાવાદમાં સૌથી વધુ 723 કેસો નોંધાયા છે, જ્યારે સુરતમાં 455 અને વડોદરામાં 195 કેસો નોંધાયા છે. રાજકોટમાં 191, દાહોદમાં 139, વલસાડમાં 135 અને કચ્છ જિલ્લામાં 134 ઈમરજન્સી કેસો સામે આવ્યા છે. ભાવનગરમાં આ આંકડો 110 રહ્યો છે, જ્યારે જામનગરમાં 104 અને ગાંધીનગરમાં 94 કેસો નોંધાયા છે. પંચમહાલમાં 88, તેમજ તાપી અને છોટાઉદેપુર બંને જિલ્લામાં 87-87 કેસો નોંધાયા છે. ભરૂચમાં 86, ખેડામાં 84 અને મોરબીમાં 83 કેસો નોંધાયા છે. તે જ રીતે અમરેલીમાં 80, બનાસકાંઠામાં 79, મહેસાણામાં 78, જૂનાગઢમાં 76 અને સાબરકાંઠામાં 75 કેસોની એન્ટ્રી થઈ છે. આણંદમાં 66, દેવભૂમિ દ્વારકામાં 62 અને અરવલ્લીમાં 61 કેસો નોંધાયા છે. જ્યારે નવસારીમાં 60, જ્યારે મહીસાગર અને નર્મદામાં 57-57 કેસો નોંધાયા છે. સુરેન્દ્રનગરમાં 54, પાટણમાં 47, ડાંગ અને પોરબંદરમાં 44-44 કેસો નોંધાયા છે. ગીર સોમનાથમાં 38 અને બોટાદમાં સૌથી ઓછા 23 ઈમરજન્સી કેસો નોંધાયા છે.
બોટાદના રજપુત ચોરા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપનાના શતાબ્દી વર્ષ નિમિત્તે દેશભરમાં આયોજિત હિન્દુ જાગરણ કાર્યક્રમોના ભાગરૂપે આ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં અનેક સંતો-મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં ભજનાનંદ આશ્રમથી આત્માનંદ સરસ્વતી, સ્વામિનારાયણ ગુરુકુળથી માધવ સ્વરૂપદાસજી, નવહથ્થા હનુમાનજી મંદિરથી નિર્મળાનંદ સરસ્વતી, મહાકાળી ધામથી ભાવેશ બાપુ, શનિદેવ મંદિરથી જમનાદાસ બાપુ અને દીપચંડી આશ્રમથી મહાસુખાનંદ બાપુનો સમાવેશ થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતો પણ હાજર રહ્યા હતા. બોટાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમમાં જોડાયા. વિશ્વ હિન્દુ પરિષદના ધર્મજાગરણ રાષ્ટ્રીય સહમંત્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણી અમદાવાદથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લોકોને ધર્મ પ્રત્યે જાગૃત કરવા માટે સંબોધન કર્યું હતું.
વલસાડમાં જર્જરિત સેવા સદન-1 તોડવાની કામગીરી શરૂ:વર્ષો જૂની ઇમારત ભયજનક જાહેર થતા ડિમોલિશન હાથ ધરાયું
વલસાડ શહેરમાં વર્ષો જૂનું સેવા સદન-1 હવે ભૂતકાળ બનશે. સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટમાં જર્જરિત અને ભયજનક જાહેર કરાયા બાદ, તંત્ર દ્વારા તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો. આજે કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષાના સાધનો સાથે ડિમોલિશનની કામગીરી વિધિવત રીતે શરૂ કરવામાં આવી છે. આ સાથે જ નવી આધુનિક બિલ્ડિંગ માટેનો માર્ગ મોકળો થયો છે. ડિમોલિશન સ્થળે એજન્સી દ્વારા મશીનરી અને મજૂરો તૈનાત કરવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે, બિલ્ડિંગના વધુ જોખમી હિસ્સાઓને પ્રાથમિકતા આપીને ઉતારવામાં આવી રહ્યા છે. આસપાસના વિસ્તારમાં અવરજવર કરતા લોકોને કોઈ તકલીફ ન પડે અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. આ ઇમારતને તોડી પાડવાનો નિર્ણય તેની જર્જરિત અવસ્થાને કારણે લેવાયો છે. બિલ્ડિંગના સ્લેબ અને પિલરમાં તિરાડો પડી ગઈ હતી, જેના કારણે તે ગમે ત્યારે ધરાશાયી થવાની સ્થિતિમાં હતી. રોજેરોજ સેંકડો અરજદારોની અવરજવર રહેતી હોવાથી મોટી જાનહાનિનું જોખમ હતું. આ જગ્યા ખાલી થયા બાદ ત્યાં નવા સુવિધાસભર સરકારી સંકુલના નિર્માણની શક્યતાઓ છે. કામગીરી સંભાળી રહેલા કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે, અમે અત્યાધુનિક મશીનરીની મદદથી બિલ્ડિંગને સુરક્ષિત રીતે તોડી રહ્યા છીએ. કાટમાળ ખસેડવાની કામગીરી પણ સાથે જ ચાલશે જેથી ટ્રાફિક કે ધૂળની સમસ્યા ન રહે. હાલમાં સેવા સદન-1 ની તમામ કચેરીઓ અન્યત્ર ખસેડવામાં આવી છે. બિલ્ડિંગ સંપૂર્ણ ધરાશાયી થયા બાદ આ વિશાળ જગ્યાનો ઉપયોગ નવા પ્રોજેક્ટ માટે કરવામાં આવશે, જેનાથી વલસાડના વહીવટી માળખાને નવું બળ મળશે.
સુરત શહેરના ડુમસ રોડ પર સુલતાનાબાદ ખાતે આવેલા 'રિવા વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટર'માં માનવતાને શર્મસાર કરતી અને કાયદો-વ્યવસ્થાને પડકારતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વ્યસન મુક્તિની સારવાર માટે આવેલા 32 વર્ષીય યુવક ધવલ જયંતીભાઈ રાઠોડની સંસ્થાના કાઉન્સિલરો અને ડ્રાઈવરે ભેગા મળીને કરપીણ હત્યા કરી નાખી છે. મૃતક ધવલભાઈ પોલીસ ઇન્સ્પક્ટરના ભાઈ હતા, તેમ છતાં આ નરાધમોએ જરા પણ ખૌફ રાખ્યા વગર તેમને તાલિબાની સજા આપી મોતને ઘાટ ઉતારી દીધા છે. ચારેય આરોપીની ધરપકડ કરાઈ છે. માત્ર દવા લેવાની ના પાડતા કાઉન્સિલર જિગ્નેશનો પિત્તો ગયોઘટનાની શરૂઆત ગત 1 માર્ચ 2026ના રોજ રાત્રે 9 વાગ્યાના અરસામાં થઈ હતી. ધવલ રાઠોડને વ્યસન મુક્તિની સારવાર માટે 28 ફેબ્રુઆરીએ જ ડુમસના સુલતાનાબાદ સ્થિત 'રિવા વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટર'માં સારવારમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારની રાત્રે સંસ્થાના કાઉન્સિલર જિગ્નેશ ભાસ્કરભાઈ દેસાઈ ધવલ પાસે ગયા હતા અને તેમને સારવારની ગોળીઓ લેવા જણાવ્યું હતું. ધવલે આ ગોળીઓ લેવાની ના પાડતા જ જિગ્નેશ એકાએક ઉશ્કેરાઈ ગયો હતો. તેણે કોઈપણ જાતની સમજાવટ વગર ધવલને જોરદાર તમાચો મારી દીધો હતો. આ વાતને લઈને ધવલ અને જિગ્નેશ વચ્ચે ઝપાઝપી શરૂ થઈ હતી. ‘તારા જેવા ઘણાને સીધા કર્યા છે’ ધમકી આપી ચાર શખ્સો તૂટી પડ્યાજ્યારે ધવલે પોતાનો બચાવ કરવા બૂમાબૂમ કરી, ત્યારે નીચેના માળેથી સંસ્થાના અન્ય કાઉન્સિલરો રોહન, શૈલેષ અને સંસ્થાની ગાડીનો ડ્રાઈવર દિલીપ ઉપર દોડી આવ્યા હતા. આ ચારેય જણાએ ધવલ સાથે ગાળાગાળી શરૂ કરી હતી. આરોપી રોહને તો ધવલની આંખમાં આંખ પરોવી ધમકી આપી હતી કે, તારા જેવા ઘણાને મેં સીધા કરી દીધા છે, તારી અમારી સામે થવાની હિંમત કેમ થઈ? આજે તો તને છોડવાનો નથી, તને મારી જ નાખવાનો છે. પલંગ પર ઊંધો સુવડાવી રસ્સીથી હાથ-પગ બાંધી દીધાઆરોપીઓએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. ડ્રાઈવર દિલીપ નીચે જઈ લાકડી લઈ આવ્યો હતો. ત્યારબાદ રોહન, શૈલેષ અને દિલીપે ધવલને પલંગ પર ઊંધો સુવડાવી દીધો હતો. ત્રણેય શખ્સોએ ધવલના હાથ અને પગ એટલી મજબૂતીથી પકડી રાખ્યા હતા કે ધવલ સહેજ પણ હલી શકે તેમ નહોતો. ધવલ કરગરતો રહ્યો અને જિગ્નેશ લાકડીથી ફટકારતો રહ્યોજિગ્નેશ દેસાઈએ દિલીપ પાસેથી લાકડી લઈ ધવલ પર અત્યાચાર શરૂ કર્યો હતો. લાકડીના એક પછી એક ફટકા ધવલના શરીર પર પડવા લાગ્યા હતા. ધવલ આજીજી કરી રહ્યો હતો, મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો, હવે હું ગોળીઓ લઈ લઈશ. પરંતુ જિગ્નેશના માથે ખૂન સવાર હતું. તેણે ગર્જના કરતા કહ્યું, તું મને ઓળખતો નથી, મારી સામે બોલવાની હિંમત કેમ કરી? જિગ્નેશે ધવલને માથાના ભાગે, કમર પર અને શરીરના અન્ય નાજુક ભાગો પર લાકડીના જીવલેણ ફટકા માર્યા હતા. ગળે મુક્કા અને કાન પર ઝાપટો: એકસાથે ચારેયનો હુમલોમાત્ર લાકડીથી મન ન ભરાતા અન્ય આરોપીઓએ પણ પોતાના હાથ સાફ કર્યા હતા, જેમાં ડ્રાઈવર દિલીપે પલંગ પર બંધાયેલા ધવલના ગળાના ભાગે 4થી 5 જોરદાર મુક્કા માર્યા હતા, જેના કારણે ધવલનો શ્વાસ રૂંધાયો હતો. શૈલેષ તેણે ધવલના ગાલ અને કાનના ભાગે 4થી 5 જોરદાર ઝાપટો ઝીંકી દીધી હતી. રોહન તેણે ધવલની છાતી અને પેટના ભાગે ખુલ્લા હાથના પંજા વડે નિર્દયતાથી હુમલો કર્યો હતો. ચારેય જણાએ ભેગા મળી ધવલને લોહીલુહાણ અને અધમૂવો કરી નાખ્યો હતો. 10:23 વાગ્યે સિવિલના ડોક્ટરે મૃત જાહેર કર્યોસતત માર અને ત્રાસને કારણે ધવલ રાઠોડ બેભાન થઈ ગયો હતો. જ્યારે આરોપીઓને લાગ્યું કે ધવલ હલનચલન નથી કરી રહ્યો, ત્યારે તેમણે 108 એમ્બ્યુલન્સ બોલાવી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ફરજ પરના તબીબોએ તપાસીને રાત્રે 10:23 વાગ્યે ધવલને મૃત જાહેર કર્યો હતો. એક પોલીસ અધિકારીના ભાઈનું આ રીતે કરપીણ મોત થતા પોલીસ બેડામાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. મૃતક ધવલના ભાઈ રાજકોટમાં પીઆઈ છે. ચારેય શખ્સો વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનોડુમસ પોલીસે આ મામલે ફરિયાદના આધારે આરોપી જિગ્નેશ ભાસ્કરભાઈ દેસાઈ, રોહન, શૈલેષ અને દિલીપ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ હેઠળ હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, આ ચારેય આરોપીઓએ ભેગા મળીને પૂર્વ આયોજિત કાવતરું રચી ધવલને ગંભીર ઈજાઓ પહોંચાડી તેનું મોત નીપજાવ્યું છે. તમામની ધરપકડ કરવામાં આવી છે.
આપણે ત્યાં ધુળેટી પૂરી થઈ ગઈ, પણ નેપાળમાં આવતીકાલે એટલે કે 5 માર્ચે ચૂંટણીની હોળી છે. 2008માં રાજાશાહીની સમાપ્તી પછીની નેપાળની સૌથી મોટી બીજી ચૂંટણી છે. પહેલી ચૂંટણી 2017માં થઈ હતી. સપ્ટેમ્બર 2025માં નેપાળના જેન-ઝી તોફાનો થયા. વડાપ્રધાન કેપી શર્મા ઓલી રાજીનામું આપીને ભાગી ગયા. સુશીલા કાર્કી વચગાળાનાં વડાપ્રધાન બન્યાં. આ વખતની ચૂંટણી બે-ત્રણ રીતે મહત્વની છે. એક તો નેપાળમાં જેન-ઝી નેતાઓ પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. બીજું, ભૂતપૂર્વ વડાપ્રધાનો કેપી શર્મા ઓલી અને પુષ્પકમલ દહલ પ્રચંડ ફરીવાર ચૂંટણી મેદાનમાં છે અને ત્રીજું, એક-બે નહીં 68 પાર્ટીઓ લડે છે. જો ગઠબંધન સરકાર આવી તો ભારત માટે મુશ્કેલી ઊભી થશે. ચીન તરફી વિચારધારાની સરકાર આવી તો પણ ભારતને તકલીફ. આપણા માટે જરૂરી એ છે કે ભારતની પડખે રહે તેવી સરકાર આવે. નમસ્કાર, દાયકા પહેલાં નેપાળ ભારતનો 28મો મોટો બિઝનેસ પાર્ટનર દેશ હતો, આજે 14મો સૌથી મોટો બિઝનેસ પાર્ટનર છે. ભારત નેપાળને 7 અબજ ડોલરથી વધુ કિંમતના માલની નિકાસ કરે છે. તો નેપાળથી 1 અબજ ડોલરથી વધુ કિંમતનો માલ પણ ખરીદે છે. આનો અર્થ એ થયો કે બંને દેશો વચ્ચે 8 અબજ ડોલરથી વધુનો વેપાર થાય છે. ભારતના 5 રાજ્યોની સરહદ નેપાળ સાથે જોડાયેલી છે. નેપાળ ને ભારત વચ્ચે સંબંધો એકસરખા નથી રહ્યા. કોઈરાલા સરકાર વખતે સારા સંબંધો હતા તો ઓલી વખતે સંબંધો બગડ્યા. હવે સ્થિર સરકાર આવે તે ભારત માટે જરૂરી છે. પહેલા નેપાળની ચૂંટણીનું સ્ટ્રક્ટર જાણી લો ભારતમાં નીચલા ગૃહને લોકસભા અને ઉપલા ગૃહને રાજ્યસભા કહે છે. શક્તિ નીચલા ગૃહ પાસે રહે છે. નેપાળની સંસદમાં બે સદન છે. નીચલા ગૃહને પ્રતિનિધિ સભા અને ઉપલા ગૃહને રાષ્ટ્રીય સભા કહે છે. પ્રતિનિધિ સભા ભારતની લોકસભા જેવી જ છે. અસલી શક્તિ તેની પાસે જ હોય છે. પ્રતિનિધિ સભામાં કુલ 275 સીટ છે. 165 સીટ પર સીધું મતદાન અને 110 સીટ પર પ્રપોર્શનલ (અનુપાતિક) મતદાન કરીને ચૂંટણી થાય છે. ત્રણ મુખ્ય ડાબેરી પક્ષોના વડાપ્રધાનની હાલત શું છે? પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીને સત્તાનો મોહ જતો નથી નેપાળમાં 3 મુખ્ય ડાબેરી પક્ષો છે. પૂર્વ વડાપ્રધાન કેપી ઓલીની CPN-UML, પૂર્વ વડાપ્રધાન પ્રચંડની CPN-MC માઓઇસ્ટ સેન્ટર અને ભૂતપૂર્વ પીએમ માધવ કુમારની CPN યુનિફાઇડ સોશિયાલિસ્ટ. ત્રણેય પક્ષોના નેતાઓ ઈચ્છે છે કે આ ટોચના લીડર પાર્ટીથી દૂર રહે કારણ કે તેનાથી પાર્ટીનું વાતાવરણ ખરાબ થાય છે. CPN-UML પ્રમુખ કેપી શર્મા ઓલી છેલ્લા એક દાયકાથી પાર્ટીનું સુકાન સંભાળી રહ્યા છે અને ચાર વખત વડાપ્રધાન રહી ચૂક્યા છે. તેમની પાર્ટીએ ડિસેમ્બર-2025માં બંધારણમાં ફેરફાર કર્યો ને પાર્ટીના પ્રમુખ ઓલીને જ બનાવ્યા. જેન-ઝી તોફાનો વખતે ઓલીના સરકારી આવાસ તેમજ તેમના બે ખાનગી આવાસોને આગ ચાંપી દીધી હતી. તેમના જન્મસ્થળ અથારાથુમમાં પણ આગ લગાવી દીધી. આખરે ઓલીને લશ્કરી બેરેકમાં આશરો લેવો પડ્યો. આ એ જ ઓલી છે જેણે પંચાયતના સમયગાળા દરમિયાન ચૌદ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. નેપાળમાં શાંતિ થયા પછી ઓલી ફરી બહાર આવ્યા ને ચૂંટણીની તૈયારીમાં પડી ગયા. તે જાંપાપાસ સીટ પરથી લડે છે. આટઆટલું થયા પછી પણ ઓલીને સત્તાનો મોહ જતો નથી. પૂર્વ વડાપ્રધાન પ્રચંડ આર્મી બેરેકમાં આશરો લઈ રહ્યા છે ઓલી પહેલાં પુષ્પકમલ દહલ પ્રચંડ વડાપ્રધાન હતા. તે પણ ઓલીની જેમ આર્મી બેરેકમાં સારા દિવસોની રાહ જોઈ રહ્યા છે. માઓવાદી અધ્યક્ષ પ્રચંડની સ્થિતિ પણ આવી જ હતી. તે દસ વર્ષ સુધી લોકશાહી માટે લડ્યા. ત્રણ વખત વડાપ્રધાન બન્યા અને 37 વર્ષ સુધી પાર્ટીનું સુકાન સંભાળ્યું. પરંતુ તેમને Gen-Z આંદોલનનું નુકસાન પણ સહન કરવું પડ્યું. 20 વર્ષમાં પહેલીવાર તેમણે સૈન્ય બેરેકમાં આશરો લેવો પડ્યો. તોફાનીઓએ તેમના ઘરને આગ લગાવી દીધી અને બધું જ બરબાદ કરી દીધું. તેમણે પોતાની પાર્ટી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (મોઓઈસ્ટ સેન્ટર) એટલે CPN-MCને મજબૂત બનાવી છે. 10 પાર્ટી સાથે ગઠબંધન કરીને તે ફરીવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. બે વડાપ્રધાનો જેવી જ હાલત છે ત્રીજા પૂર્વ વડાપ્રધાન માધવકુમારની અન્ય એક ડાબેરી પક્ષ સીપીએન યુનિફાઇડ સોશિયાલિસ્ટ નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન માધવ કુમારની હાલત પણ આવી જ હતી. સપ્ટેમ્બરમાં પ્રદર્શનકારીઓએ તેમના ઘરને પણ આગ લગાવી દીધી હતી. સુરક્ષા કર્મચારીઓએ તેમને બચાવ્યા અને આર્મી બેરેકમાં લઈ ગયા. સીપીએન યુનિફાઇડ સોશિયાલિસ્ટ નેતા ઝાલનાથ ખાનલ જે સુધી CPI-MLના મહાસચિવ હતા અને પછી UMLના પ્રમુખ બન્યા હતા. તે હવે યુનિફાઇડ સોશિયાલિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતા છે. દલ્લુ ગામમાં તેમના ઘરને પણ પ્રદર્શનકારીઓએ આગ લગાવી દીધી હતી. તેમનાં પત્ની રવિલક્ષ્મી ચિત્રકર ખરાબ રીતે દાઝી ગયાં હતાં. તેમની પાર્ટીમાં ફાંટફૂટ બહુ છે. તેની જ પાર્ટીના નેતાઓ ઈચ્છતા નથી કે માધવકુમાર ફરી ચૂંટણી લડે. આ વખતે ચૂંટણી મહત્વની કેમ? જેન-ઝી પ્રદર્શન દરમિયાન નેપાળના સત્તાધિશોને સમજાઈ ગયું છે કે હવે દેશમાં નીતિગત સુધારા લાવવા પડશે એટલે કોઈપણ પાર્ટી જેન-ઝીને રીઝવવા એડીચોટીનું જોર લગાવશે. એ દ્રષ્ટિએ પણ આ ચૂંટણી મહત્વની બની રહેશે. નેપાળમાં પાર્ટીઓએ છેલ્લા 17-18 વર્ષોમાં માત્ર પોતાના સ્વાર્થો પર ધ્યાન આપ્યું. પાંચ મહિનામાં એક સરકાર, પાંચ મહિના પછી બીજી સરકાર બનવા જેવી સ્થિતિ થઈ. લોકતંત્રને સંભળાવું મુશ્કેલ બની ગયું હતું. મોટા વિધ્વંશ પછી ચૂંટણી થઈ રહી છે એટલે આ ચૂંટણીના પરિણામો નિર્ણાયક રહેશે. જો ગઠબંધનની સરકાર બને છે તો ગઠબંધનમાં કલહ રહેશે. આ ગઠબંધન સરકાર જેન-ઝીની ઈચ્છાઓને પૂરી નહિ કરી શકે એટલે ફરી તોફાનો થવાની સંભાવના વધી જાય છે. ગઠબંધન સરકારના ભારત સાથે સારા સંબંધો નહિ રહે. દેશમાં અસ્થિર સરકાર બનશે તો વિદેશ નીતિ પણ અસ્થિર રહેશે. જરૂરી છે કે આ વખતની ચૂંટણી પછી નેપાળમાં સ્થિર સરકાર આવે. માટે આ વખતે નેપાળની ચૂંટણી મહત્વની બની જાય છે. નેપાળમાં ઓલી અને બાલેન શાહનું ગઠબંધન સંભવ કેટલાક દિવસો પહેલાં ભારતના મનોહર પરિકર ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડિફેન્સ સ્ટડીઝ વેબસાઈટ પર નેપાળની ચૂંટણીનું વિશ્વલેષણ કરવામાં આવ્યું. જેમાં લખ્યું હતું કે ચૂંટણીમાં કોઈપણ પાર્ટીને બહુમતી નહિ મળે. કોઈપણ પાર્ટીની સ્પષ્ટ બહુમતીની સંભાવના બહુ ઓછી છે. ચૂંટણી પછી કેપી શર્મા ઓલીની CPN-UML અને બાલેનની રાષ્ટ્રીય સ્વતંત્ર્ય પાર્ટી (RSP) કેન્દ્રમાં રહેવાની આશા છે. CPN-UMLને નેપાળમાં મજબૂત માનવામાં આવે છે. જ્યારે RSPને યંગ સ્ટર્સમાં લોકપ્રિય મનાય છે. બંને પાર્ટીને બહુમત ન મળે તો બંને પાર્ટી ગઠબંધન કરવાના મૂડમાં છે. ઓલી અને બાલેન શાહ સાથે મળીને સરકાર ચલાવે એવું પણ બને. નેપાળની ચૂંટણી પર ભારતની નજર કેમ? નેપાળની ખુલી સરહદો ત્રણ દિશાઓમાં ભારતના પાંચ રાજ્યો સાથે જોડાયેલી છે. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કીમ. ઉત્તરમાં તિબેટના પઠાર સાથે સરહદના કારણે અહિંની જિયોપોલિટલ સ્થિતિ અને ચીનના વધતા પ્રભાવના કારણે પશ્ચિમી દેશોને પણ રસ બતાવતા રહ્યા છે. 2017માં તત્કાલિન વડાપ્રધાન પુષ્પકમલ દહાલ પ્રચંડની સરકાર ચીનની પરિયોજના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવમાં સામેલ થઈ હતી. બાદમાં 2024ના અંતમાં કેપી શર્મા ઓલીના નેતૃત્વમાં બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવના કરાર પર સહી થઈ. બંને સમયે નેપાળી કોંગ્રેસ ગઠબંધનનો ભાગ હતી. ભારતના 5 રાજ્યોની સરહદ નેપાળ સાથે જોડાયેલી છે….જુઓ મેપ બનારસ હિન્દુ યુનિવર્સિટીના નેપાળ અધ્યયન કેન્દ્રના પ્રોફેસર એન.પી.સિંહનું કહેવું છે કે નેપાળના કેટલાક નેતાઓ ચીન તરફ ઝૂકેલા છે.જ્યારે ઓલી કે પ્રચંડની સરકાર બની ત્યારે તે વૈચારિક રૂપે ચીન સાથે જોડાઈ ગયા હતા. ચીન નેપાળને ડિફેન્સમાં મદદ કરે છે. આપણે એવું ક્યારેય કહેતા નથી કે ચીન સાથે સંબંધ ખરાબ કરવામાં આવે. પણ નેપાળે હંમેશા યાદ રાખવું જોઈએ કે ભારત સાથે તેનો સંબંધ એવો નથી કે આપણે તેને દેવાંની જાળમાં ફસાવી દઈએ. આપણે વિકાસમાં સહયોગી બનવા માગીએ છીએ. આપણો સંબંધ એવો નથી કે દરેક નિર્ણય માટે તેમણે આપણી સાથે ચર્ચા કરવી પડે. નેપાળનું ભૂગોળ ભારતની ફેવરમાં છે અને નેપાળમાં કોઈની પણ સરકાર આવે, તેણે દિલ્હી સાથે મળીને કામ કરવું પડશે. નેપાળની ચૂંટણીમાં જેન-ઝી મેદાન મારી જશે? તોફાન વખતે ઘણા જેન-ઝી નેતાઓ ઉભરી આવ્યા હતા. એમાંથી મોટાભાગના હવે અલગ-અલગ પોલિટિકલ પાર્ટીઓમાં છે. જેમની સાથે તેમના વિચારો મળે છે, તેઓ તેમની સાથે જોડાઈ ગયા. મોટાભાગના નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે મળીને કામ કરે છે. જેન-ઝીની જ અલગ પોલિટિકલ પાર્ટી પણ બની છે.- નામ છે જેન-ઝી રિવોલ્યુશન નેપાળ. આ પાર્ટીના લીડર છે 26 વર્ષના ટંકા ધામી. ટંકા ધામી નવી સરકાર પાસેથી અપેક્ષા રાખે છે કે તેઓ યુવાઓને નેતૃત્વમાં સામેલ કરે અને કરપ્શન ખતમ કરે. ટંકા ધામીએ મીડિયા સાથેની વાતચીતમાં કહેલું કે જ્યાં સુધી બાલેન શાહ અને રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીનો સવાલ છે, અમને તેમના એજન્ડા અને ડેવલપમેન્ટના પ્લાન પર શંકા છે. દેશને આગળ કેવી રીતે વધારવામાં આવશે, અમને તેનો ક્લિયર રોડમેપ જોઈએ, જે તેમની પાસે દેખાતો નથી. બાલેન શાહ વચન મોટા મોટા આપે છે પણ કામ કરતા નથી. સવાલ એ છે કે જે જેન-ઝી નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે તે મેદાન મારી જશે? પણ તેમાં શંકા છે. કારણ કે બાંગ્લાદેશમાં પણ આંદોલનકારી નેતાઓ ચૂંટણી લડ્યા હતા પણ બધા ઝીરોએ આઉટ થઈ ગયા. એટલે આંદોલનના ચહેરા મત ખેંચી શકે તે જરૂરી નથી. આંદોલનોનો જનતાંત્રિક આધાર નથી હોતો. એકાએક આવેલા વિદ્યાર્થી નેતાઓને લોકો તરત સ્વીકારતા નથી. જે નેતાઓ વર્ષોથી રાજનીતિમાં છે, અનુભવ છે તેની સાથે જ મતદારો જઈ શકે તેવી સંભાવના વધારે છે. છેલ્લે, નેપાળમાં જેન-ઝી તોફાનો પછી સુશીલા કાર્કી વચગાળાના વડાપ્રધાન બન્યાં. એ વખતે નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર અભિનંદન આપતાં લખ્યું હતું કે, I extend my best wishes to Right Hon. Mrs. Sushila Karki... આ મેસેજમાં મોદીએ 'Right' શબ્દ લખ્યો હતો તેની ચર્ચા બહુ થઈ હતી પણ આ શબ્દ મોદીએ કેમ લખ્યો, તે કોયડો ઉકેલાયો નથી. બની શકે કે ચૂંટણીના પરિણામો પછી આપણને આ કોયડાનો જવાબ મળી જાય. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- યશપાલ બક્ષી)
છોટા ઉદેપુર જિલ્લામાં હોળીના બીજા દિવસે, ધૂળેટી પર્વ નિમિત્તે ચૂલનો મેળો યોજાયો હતો. આ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા હતા, જેમણે ધગધગતા અંગારા પર ચાલીને પોતાની માનતાઓ પૂરી કરી હતી. વિદેશી પર્યટકોએ પણ આ અનોખા મેળાનો આનંદ માણ્યો હતો. આદિવાસીઓ પારંપારિક વેશભૂષામાં સજ્જ થઈને વાંસળી, દદુળી, મોટલા ઢોલ (રામ ઢોલ) અને ઘૂઘરાના તાલે નાચગાન કરતા જોવા મળ્યા હતા. આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને નજીકથી નિહાળવા માટે વિદેશી પર્યટકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મેળાનું મુખ્ય આકર્ષણ ધગધગતા અંગારા પર ચાલવાની પરંપરા હતી. આદિવાસી સમુદાયના લોકો વર્ષ દરમિયાન માનેલી માનતાઓ પૂરી થતાં, પોતાની શ્રદ્ધા અનુસાર આ અંગારા પર ચાલીને માનતા પૂરી કરતા હોય છે. આ દ્રશ્ય જોવા માટે મોટી ભીડ ઉમટી હતી. આમ, છોટા ઉદેપુર જિલ્લામાં આદિવાસી સમુદાય દ્વારા હોળીના તહેવારની ઉજવણી હર્ષોલ્લાસ અને પારંપારિક ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.
અમદાવાદની સાબરમતી નદીમાં કુબેરનગર વિસ્તારના ચાર યુવકોના ડૂબી જવાથી મોત થયા છે. આજે 4 માર્ચના રોજ ધૂળેટીનો તહેવાર હોવાથી ચારેય યુવકો નદીમાં નાહવા માટે પડ્યા હતા, ત્યારે તેઓ ડૂબી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટનાસ્થળ ઉપર દોડી ગઈ હતી. જોકે, ફાયર વિભાગને ત્રણ યુવકો ડૂબ્યા હોવાનો મેસેજ મળ્યો હતો, પરંતુ ચાર યુવકોની લાશ મળી આવી હતી. જે મામલે પોલીસને જાણ કરવામાં આવાત રિવરફ્રન્ટ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
નવસારીના ધુળેટી ઉત્સવમાં યુવકો વચ્ચે મારામારી:બી.આર. ફાર્મના 'રંગ મેન્યા' કાર્યક્રમ 10 મિનિટ રોકાયો
નવસારી જિલ્લામાં ધુળેટી પર્વની ઉજવણી દરમિયાન અફરાતફરીના દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના જાણીતા બી.આર. ફાર્મ ખાતે આયોજિત 'રંગ મેન્યા રંગોત્સવ'માં યુવાનોના બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. આ ઘટનાને કારણે કાર્યક્રમ થોડા સમય માટે રોકવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ, બી.આર. ફાર્મમાં મોટી સંખ્યામાં યુવાનો ધુળેટીની ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક કોઈ અગમ્ય કારણોસર યુવાનો વચ્ચે ગેરસમજ ઊભી થઈ. જોતજોતામાં વાત વણસી અને એક યુવાન પર અન્ય યુવાનોનું ટોળું તૂટી પડ્યું હતું. આ મારામારીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં યુવકો છૂટા હાથની મારામારી કરતા જોવા મળે છે. મારામારીના દ્રશ્યો સર્જાતા કાર્યક્રમમાં હાજર લોકોમાં ભય ફેલાયો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે આયોજકોએ તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો. આ હોબાળાને કારણે અંદાજે 10 મિનિટ સુધી કાર્યક્રમ રોકી દેવામાં આવ્યો હતો. જોકે, ત્યારબાદ મામલો શાંત પડતા રંગોત્સવ ફરી શરૂ કરવામાં આવ્યો. આ ઘટના અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી કે યુવાનો વચ્ચે ઝઘડો શા માટે થયો. આયોજકો દ્વારા ઝઘડો કરનાર યુવાનોને ફાર્મની બહાર કાઢી મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાયો હતો. નોંધનીય છે કે, આ માથાકૂટ અંગે હજુ સુધી કોઈ પણ પક્ષે પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી નથી. આ મામલે આયોજક કલ્પેશ માહેશ્વરીએ જણાવ્યું હતું કે, મારામારી કયા કારણોસર થઈ તે જાણી શકાયું નથી. જોકે, તેમણે ટોળાને બહાર કાઢીને સમજાવ્યા હતા અને ધુળેટી રમવા આવેલા અન્ય લોકોને ખલેલ ન પહોંચે તેનું ધ્યાન રાખ્યું હતું.
ગુજરાતના વકીલો માટે મહત્વપૂર્ણ ગણાતી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી 6 માર્ચે યોજાવાની છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત રાજ્યના વકીલોની માતૃ સંસ્થા તરીકે કાર્ય કરે છે અને વકીલ વ્યવસાયના મહત્વપૂર્ણ નિર્ણયો પર સીધી અસર કરે છે. આ વખતે ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે. 76 હજારથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યના વિવિધ જિલ્લાઓ અને બાર એસોસિએશનોમાં ચૂંટણીને લઈને પ્રચુર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યના વકીલોમાં ઉત્સાહનો માહોલઆ ચૂંટણીમાં જે.જે.પટેલ સહિતના અનેક જાણીતા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવાર જે.જે.પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યના વકીલોમાં ઉત્સાહનો માહોલ છે. તેમણે દાવો કર્યો કે તેમણે રાજ્યના તમામ બાર એસોસિએશનોની મુલાકાત લીધી છે અને વકીલોમાંથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. 'જે કામ કરશે તેને મત મળશે'જે.જે.પટેલના જણાવ્યા મુજબ, આ વખતે રાજ્યના વકીલોએ મન બનાવી લીધું છે કે “જે કામ કરશે તેને મત મળશે.” તેમના શબ્દોમાં, વકીલ સમાજ હવે કાર્ય આધારિત નેતૃત્વ તરફ આગળ વધી રહ્યો છે અને આ ચૂંટણી ઐતિહાસિક પરિણામ આપી શકે છે. 11 હજાર નવા યુવા વકીલો મહત્વની ભૂમિકા ભજવશેરાજ્યમાં તાજેતરમાં નોંધાયેલા અંદાજે 11 હજાર નવા યુવા વકીલો પણ આ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવશે. યુવા વકીલોમાં આધુનિકતા, પારદર્શિતા અને ટેકનોલોજી આધારિત વ્યવસ્થાની માંગ વધી રહી છે. ડિજિટલ ઈન્ડિયા અભિયાનની દિશામાં બાર કાઉન્સિલ અને બાર એસોસિએશનોને વધુ આધુનિક અને ટેકનોલોજીથી સજ્જ બનાવવાનો મુદ્દો પણ ચર્ચાના કેન્દ્રમાં છે. વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નવી ટીમ પસંદ કરશેબાર કાઉન્સિલ ઓફ ગુજરાત માત્ર ચૂંટણી પ્રક્રિયા પૂરતી સીમિત નથી. તે વકીલોની નોંધણી, શિસ્ત, હિતરક્ષા અને કાનૂની વ્યવસાયના સંચાલન જેવી અગત્યની જવાબદારીઓ નિભાવે છે. તેથી આ ચૂંટણીનું પરિણામ આગામી 5 વર્ષ માટે વકીલ સમાજની દિશા અને પ્રાથમિકતાઓ નક્કી કરશે. હવે સૌની નજર 6 માર્ચ પર ટકેલી છે, જ્યારે હજારો વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નવી ટીમ પસંદ કરશે.
મહેસાણા જિલ્લામાં ધુળેટીના પર્વ પર એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મોટીદઉ ગામ પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કાચી કેનાલમાં નાહવા પડેલા ચાર યુવાનો પૈકી બે યુવાનોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે મિત્રોનો આબાદ બચાવ થયો છે. આ દુર્ઘટનાને પગલે ભાડુ ગામમાં અને મૃતક પરિવારોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. અચાનક ચારેય યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતામહેસાણા તાલુકાના ભાડુ ગામના ચાર યુવકો ધુળેટી રમીને બપોરે આશરે 1 વાગ્યાના સુમારે મોટીદઉ પાસે આવેલી સુજલામ સુફલામ કાચી કેનાલમાં નાહવા માટે ગયા હતા. નહાતી વખતે અચાનક ચારેય યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા.આસપાસના લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. જેમાં બે યુવકોને હેમખેમ બહાર કાઢી લેવામાં સફળતા મળી હતી, પરંતુ અન્ય બે યુવકો પાણીમાં લાપતા થયા હતા. કલાકોના સર્ચ ઓપરેશન બાદ બંને યુવકોના મૃતદેહ મળી આવ્યાઘટનાની જાણ થતા જ મહેસાણા ગ્રામ્ય મામલતદારની ટીમ અને મહેસાણા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તરવૈયાઓ દ્વારા હાથ ધરવામાં આવેલા કલાકોના સર્ચ ઓપરેશન બાદ બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ 14 વર્ષીય જયરાજ પોપટજી ઠાકોર અને 23 વર્ષીય વિજયજી વિનુજી ઠાકોર (બંને રહે. રેલવેપુરા, ભાડુ) તરીકે થઈ છે. બે આશાસ્પદ યુવાનોના મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટીબંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ મામલે મહેસાણા તાલુકા પોલીસે અકસ્માતે મોતના ગુના સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે. તહેવારના દિવસે જ ગામના બે આશાસ્પદ યુવાનોના મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ઢોકળવા મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો:બે આરોપી ઝડપાયા, ₹1.79 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ આણંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઢોકળવા ગામે થયેલી મંદિર ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલા ચાંદીના દાગીના અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹1,79,000ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તેમજ ઘરફોડ, વાહન અને મંદિર ચોરીના અનડિટેક્ટેડ ગુનાઓને ઉકેલવા માટે LCB પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના I/C પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાએ અલગ અલગ ટીમો બનાવી હતી. ચોક્કસ બાતમીના આધારે, LCB ટીમે ચોરીમાં સંડોવાયેલા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલા ચાંદીના દાગીના, એક અલ્ટો ગાડી અને એક મોબાઇલ ફોન સહિત કુલ ₹1,79,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. કબજે કરાયેલા મુદ્દામાલમાં ₹69,000ની કિંમતની પાંચ ચાંદીની હાસડી (કામ્બી), ₹1,00,000ની કિંમતની એક અલ્ટો ગાડી અને ₹10,000ની કિંમતનો એક મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાં જસદણના સરધાર, સુકી સાજળીયાળી રોડ પરના સરકારી આવાસમાં રહેતા નવઘણભાઈ હરીભાઈ ડાભી અને એક મહિલાનો સમાવેશ થાય છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે આરોપીઓને આણંદપુર પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે. આ કામગીરીમાં LCB સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટરની રાહબરી હેઠળ PSI જે.વાય. પઠાણ, I/C PSI એન.એ. રાયમા, હેડ કોન્સ્ટેબલ દેવરાજભાઈ જોગરાજીયા, કોન્સ્ટેબલ વજાભાઈ સાનીયા, ગીરીરાજસિંહ જાડેજા અને મેહુલભાઈ મકવાણા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધને કારણે રાજકોટના 40 લોકો દુબઈ અને ઓમાનમાં ફસાયા છે. તેમના દ્વારા કલેક્ટર કચેરી ખાતે શરૂ કરવામાં આવેલા કંટ્રોલ રૂમ પરના હેલ્પલાઇન પર ફોન કરી મદદ માગવામાં આવી હતી આ તમામ લોકો જે તે જગ્યાએ સુરક્ષિત છે પરંતુ તેઓ વતન પરત ફરવા માટે ફ્લાઇટની રાહમાં છે. ફ્લાઈટ મળતા ની સાથે જ તેઓ રાજકોટ પરત ફરશે. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધને લીધે ફસાયેલા લોકોને મદદ કરવા માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેના નંબર 0281 2471573 અને 0281 2410100 છે. જેમાં 16 પરિવારોના ફોન આવ્યા છે. જેમના 40 લોકો ફસાયા છે. જેમાં 39 લોકો દુબઈમાં તો 1 વ્યક્તિ ઓમાનમાં છે. જોકે તેઓ હાલ સુરક્ષિત છે અને હવાઈ ઉડાન શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે. લોકો QR કોડ અને વેબસાઇટ પરથી પોતાની માહિતી મૂકી મદદ માંગી શકે છે. રાજકોટ ડિઝાસ્ટર મામલતદાર મીરાબેન જાનીએ જણાવ્યુ હતુ કે, આ કંટ્રોલ રૂમ 24 કલાક ચાલુ છે. જ્યાં ફોન કરતા લોકોની માહિતી સ્ટેટ કંટ્રોલ રૂમને કરવામાં આવે છે અને તે માહિતી સ્ટેટ દ્વારા મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ઓફ ઇન્ડિયામાં મોકલવામાં આવે છે. જે માટે એક QR કોડ અને વેબસાઇટ www.meaers.com/request પર પોતાની માહિતી મૂકી મદદ માંગી શકે છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ગલ્ફ દેશોમાં હાલમાં ચાલી યુધ્ધની પરિસ્થિતિ અન્વયે રાજકોટ જિલ્લાની કોઇ વ્યક્તિ ફસાયેલ હોવાનુ ધ્યાને આવે તો ભારત સરકારના Ministry of External Affairs દ્વારા બનાવેલ ક્યુ.આર. કોડ સ્કેન કરાવી જરૂરી માહિતી ભરવાની રહેશે. જોકે હવે ફલાઇટની મદદથી લોકો વતન રાજકોટ પરત ફરી રહ્યા છે.
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર ડોક્યુમેન્ટ ફ્રોડનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોર્ટુગલની નકલી નાગરિકતા અને બોગસ પાસપોર્ટના આધારે ભારત આવેલા અમરેલીના એક શખ્સને ડુમસ પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીએ વિદેશમાં સેટલ થવા માટે પોતાની ઓળખ બદલી 'કાલ્પેશકુમાર' નામે દસ્તાવેજો બનાવ્યા હતા, પરંતુ ઈમિગ્રેશન અધિકારીઓની તપાસમાં તેનો ભાંડો ફૂટી ગયો હતો. ઓળખ બદલીને વિદેશમાં સેટલ થવાનું મોટું કૌભાંડમૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કમી કેરાળા ગામના વતની અને હાલ સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા 49 વર્ષીય ભાવેશભાઈ ધીરુભાઈ બોરડની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, ભાવેશભાઈએ પોર્ટુગલ જવા માટે અને ત્યાંની નાગરિકતા મેળવવા માટે 'બામણિયા કલ્પેશકુમાર રતિલાલ' (BAMANIA KALPESHKUMAR RATILAL) તરીકેનું ખોટું નામ ધારણ કર્યું હતું. આ માટે તેણે બોગસ દસ્તાવેજો અને કિંમતી જામીનગીરીઓ પણ ઊભી કરી હતી. કેવી રીતે ફૂટ્યો ભાંડો? એરપોર્ટ પર તપાસ દરમિયાન સતર્કતાઘટનાની વિગત મુજબ, આરોપી ગત તારીખ 2 માર્ચ, 2026 પહેલા કોઈપણ સમયે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના ફર્સ્ટ ફ્લોર પર આવેલા ઇન્ટરનેશનલ અરાઈવલ એરિયામાં પહોંચ્યો હતો. અહીં ઈમિગ્રેશન ઓફિસ ખાતે જ્યારે તેના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી, ત્યારે અધિકારીઓને શંકા ગઈ હતી. સઘન તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે તેણે પોર્ટુગલની સરકારની કચેરીઓમાં બોગસ દસ્તાવેજો રજૂ કરી ત્યાંની નાગરિકતા મેળવી લીધી હતી અને તેના આધારે મેળવેલ પાસપોર્ટ સંપૂર્ણપણે ગેરકાયદેસર હતો. નવી ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો દાખલદુમસ પોલીસ સ્ટેશનમાં આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023 (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજો બનાવવા બદલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 'ધી પાસપોર્ટ એક્ટ, 1967' ની કલમ 12(1)(બી) મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ નવા કાયદા હેઠળ સુરત પોલીસ દ્વારા કરવામાં આવેલી આ એક મહત્વની કાર્યવાહી ગણાય છે. ઈ-ટુરિસ્ટ વિઝાનો સહારો લઈ ભારતમાં પ્રવેશ્યોઆરોપી ભાવેશભાઈએ માત્ર પાસપોર્ટ જ નહીં, પણ ભારતમાં પ્રવેશવા માટે વિઝા મેળવવામાં પણ છેતરપિંડી કરી હતી. તેણે કાલ્પેશકુમાર બામણિયાના નામે ઈ-ટુરિસ્ટ વિઝા એપ્લિકેશન (નં. I001V5C3A025) કરી હતી અને વિઝા મેળવ્યા હતા. આ નકલી ઓળખ સાથે તેણે મુંબઈ અને સુરત એરપોર્ટનો ઉપયોગ કરી ભારતની સુરક્ષા એજન્સીઓને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. બોગસ દસ્તાવેજ બનાવવામાં કોણે મદદ કરી તે દિશામાં તપાસ હાથ ધરાશેઆ સમગ્ર કૌભાંડ બાબતે સુંદરાગીરી ચંદનગીરી નામના અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદના આધારે ડુમસ પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીને આ બોગસ દસ્તાવેજો બનાવવામાં કોણે મદદ કરી હતી અને આ પાછળ કોઈ મોટું એજન્ટોનું નેટવર્ક કાર્યરત છે કે કેમ. આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવીસુરત પોલીસ કમિશનરની સૂચના મુજબ, એરપોર્ટ પર સુરક્ષા અને દસ્તાવેજોની ચકાસણી સઘન બનાવવામાં આવી છે. આ કેસમાં પકડાયેલા ભાવેશ બોરડ પાસેથી અનેક ચોંકાવનારી વિગતો મળવાની શક્યતા છે. ખાસ કરીને પોર્ટુગલ જેવા દેશના દસ્તાવેજો ગુજરાતમાં બેસીને કેવી રીતે મેનેજ થયા તે તપાસનો વિષય છે. હાલમાં આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આણંદ-કરમસદ મનપાએ કાર્યવાહી કરી:ગંદકી અને દબાણ બદલ બે ખાણી-પીણી એકમો સીલ, સામાન જપ્ત
આણંદ-કરમસદ મહાનગરપાલિકાએ જાહેર આરોગ્યના હિતમાં કડક કાર્યવાહી કરી છે. કમિશનરની સૂચનાથી આરોગ્ય અને એસ્ટેટ વિભાગની ટીમે મહેન્દ્ર શાહ હોસ્પિટલથી ગુજરાતી ચોક તરફના માર્ગ પર આવેલી બે ખાણી-પીણીની દુકાનોને સીલ કરી દીધી છે. આ કાર્યવાહી ગંદકી અને રસ્તા પર દબાણ કરવા બદલ કરવામાં આવી છે. તપાસ દરમિયાન 'આશિષ ચાઇનીઝ કિંગ' અને 'અલ-હબીબી ફાસ્ટ ફૂડ હબ' નામના એકમોમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. આ ઉપરાંત, આ દુકાનદારો દ્વારા જાહેર રસ્તા પર ખાદ્ય પદાર્થો બનાવીને દબાણ કરવામાં આવ્યું હતું, જે રાહદારીઓ માટે અવરોધરૂપ બનતું હતું. મનપાની ટીમે આ એકમોમાં ભયંકર ગંદકી અને સ્વચ્છતાના નિયમોનું સદંતર ઉલ્લંઘન થતું હોવાનું નોંધ્યું હતું. લોકોના સ્વાસ્થ્યને નુકસાન થવાની સંભાવનાને પગલે, તંત્રએ તાત્કાલિક અસરથી બંને દુકાનોને સીલ કરી દીધી હતી. રસ્તા પર મુકાયેલો તમામ સામાન પણ કબજે લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ શહેરના તમામ હોટલ અને દુકાન માલિકોને સ્વચ્છતા જાળવવા અને દબાણ ન કરવા અંગે સ્પષ્ટ ચેતવણી આપી છે. જો ભવિષ્યમાં કોઈ ખાદ્ય એકમ આવા નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેમની સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીથી અન્ય બેદરકાર વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
રાજકોટ શહેરના હિંગળાજ નગર આવાસ યોજનામાં બનેલી પિતાની હત્યાની કરુણ ઘટનામાં રાજકોટની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આરોપી પુત્રને પાંચ વર્ષની સખત કેદની સજા તેમજ રૂપિયા 5000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને જો દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ એક મહિનાની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં 21 દસ્તાવેજી પુરાવા અને 13 સાક્ષીની જુબાની કોર્ટ સમક્ષ લેવામાં આવી હતી જેને માન્ય ગણી કોર્ટે આરોપીને દોષિત જાહેર કરી સજા ફટકારી છે. પુત્ર વારંવાર પિતા પાસે પૈસાની માંગણી કરી ઝઘડો કરતો રાજકોટમાં હિંગળાજ નગર આવાસ યોજનાના ક્વાર્ટર નં. અ-502માં રહેતી મનિષાબેન વજુભાઈ ચોટલીયાએ પોતાના દીકરા રવિ વજુભાઈ ચોટલીયા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પોલીસ ફરિયાદમાં આરોપી પુત્ર વારંવાર તેના પિતા વજુભાઈ ભાણજીભાઈ ચોટલીયા પાસે પૈસાની માંગણી કરી ઝઘડો કરતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને બનાવના દિવસે પણ પૈસા માંગવા બાબતે ઉગ્ર બોલાચાલી થઇ હતી જેથી આરોપી પુત્ર એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પિતાને ઢીંકા-પાટુ વડે માર મારી માથું દીવાલ સાથે જોરથી ભટકાડયું હતું. ઉપરાંત મોઢા પર આડેધડ પાટા વડે હુમલો પણ કરવામાં આવ્યો હતો જેથી ગંભીર હોવાથી વજુભાઈ બેભાન થઈ ગયા હતા. આ બનાવનો અવાજ સાંભળી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તાત્કાલીક 108 મારફત ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસી વજુભાઈને મૃત જાહેર કર્યા હતા. સરકાર પક્ષે કુલ 21 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. આ કેસમાં આરોપી સામે આઈપીસી કલમ 302 અને 201 હેઠળ ગુનો નોંધી કેસ ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો હતો. સરકાર પક્ષે કુલ 21 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. સાથે ફરિયાદી, પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર, જુદા જુદા પંચ સાક્ષીઓ તેમજ સમગ્ર તપાસ કરનાર તપાસનીશ અધિકારી સહિત કુલ 13 સાક્ષીઓની જુબાની કોર્ટ સમક્ષ લેવામાં આવી હતી. કેસ પૂર્ણ થતા સરકાર તરફેથી સરકારી વકીલ કમલેશ ડોડીયાએ આરોપીને કડક સજા થાય તે માટે દલીલો કરી હતી.આરોપી પુત્રને પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂ.5000નો દંડ ફટકાર્યો દસ્તાવેજી પુરાવા, સાક્ષીઓની જુબાની અને સરકારી વકીલની દલીલોને માન્ય રાખી કોર્ટએ આરોપીને દોષિત ઠરાવ્યો હતો. રાજકોટની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ જે.આર.શાહે આરોપી રવિ વજુભાઈ ચોટલીયાને પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂ.5000નો દંડ ફટકાર્યો છે. અને દંડની રકમ ન ભરે તો વધુ એક મહિનાની સજા ભોગવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ કમલેશ ડોડીયા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે સહાયક તરીકે ઉર્વી આચાર્ય રોકાયેલા હતા.
મોરબીમાં બે કારખાનામાં વૃદ્ધ-યુવાનના મોત:પથારીવશ વૃદ્ધ, યુવાનને પેટમાં દુખાવાથી મૃત્યુ
મોરબી નજીક આવેલા બે જુદા જુદા કારખાનામાં અપમૃત્યુના બે બનાવ સામે આવ્યા છે. જેમાં એક વૃદ્ધ અને એક યુવાનનું મોત નીપજ્યું છે. પોલીસે બંને ઘટનાઓની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ બનાવ મોરબી-રાજકોટ હાઈવે રોડ પર આવેલા અજંતા કારખાનાના લેબર ક્વાર્ટરમાં બન્યો હતો. અહીં રહેતા નરેશભાઈ વેરશીભાઈ દધુકિયા (60) નામના વૃદ્ધનું ગઈકાલે કોઈ કારણોસર મોત થયું હતું. મળતી માહિતી મુજબ, નરેશભાઈને 19 વર્ષ પહેલાં અકસ્માત થયો હતો, જેના કારણે તેઓ પથારીવશ હતા. તેમના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજો બનાવ મોરબીના જેતપર રોડ પર પાવડીયારી નજીક આવેલા અલાસ્કા કારખાનાના ક્વાર્ટરમાં બન્યો હતો. અહીં રહેતા ઉમેશભાઈ બાબુભાઈ (39) નામના યુવાનને કારખાનામાં અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો. પેટમાં દુખાવો થતાં મહેન્દ્રભાઈ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ યુવાનનું રસ્તામાં મોત નીપજ્યું હતું. હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને આ બનાવની જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નવસારીના સુપ્રસિદ્ધ BR ફાર્મ ખાતે આયોજિત ધુળેટી મહોત્સવમાં 4 હજારથી વધુ યુવાનો ઉમટી પડ્યા હતા. તેમણે ડીજેના તાલે રંગોત્સવની ઉજવણી કરી હતી. BR ફાર્મમાં છેલ્લા ત્રણ વર્ષથી ધુળેટીની વિશેષ ઉજવણી થાય છે. આ વર્ષે પણ અંદાજે 3 થી 4 હજાર યુવક-યુવતીઓ આ ઉજવણીમાં જોડાયા હતા. લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતો અને ડીજેના તાલે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા. રેઈન ડાન્સ યુવાનો માટે મુખ્ય આકર્ષણ રહ્યું હતું, જ્યાં પાણીના ફુવારા નીચે ભીંજાઈને તેમણે ધુળેટીની મજા માણી હતી. આ ઉજવણીમાં રાજકીય આગેવાનો પણ જોડાયા હતા. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ યુવાનોના ઉત્સાહમાં સહભાગી થઈ ડીજેના તાલે નૃત્ય કર્યું હતું. હજારોની મેદની હોવા છતાં BR ફાર્મ ખાતેનું આયોજન શિસ્તબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું. યુવાનોએ એકબીજાને ગુલાલ લગાવીને ભાઈચારાના આ પર્વની ઉજવણી કરી હતી. રેઈન ડાન્સ અને સંગીતના સંગમે ધુળેટીની ઉજવણીને વધુ યાદગાર બનાવી હતી.
ભાવનગર જિલ્લાના તળાજા સ્થિત નિલકંઠ ગુરુકુલમ્ ના ધોરણ-10ના વિદ્યાર્થી રાઠોડ દેવ પ્રકાશકુમારની 'ઇન્સ્પાયર માનક એવોર્ડ' માટે પસંદગી કરવામાં આવી છે. દેવ રાઠોડના 'ઝાંખા પ્રકાશમાં કામ કરતી સ્માર્ટ અને ઓટોમેટિક ટોર્ચ' નામના વિજ્ઞાન પ્રયોગને આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે પસંદ કરાયો છે, જે તળાજા પંથક માટે ગૌરવની વાત છે. વિદ્યાર્થી દેવ રાઠોડે જણાવ્યું કે આ પ્રયોગ આજના પ્રદૂષિત વિશ્વની એક મોટી સમસ્યાનું નિરાકરણ લાવે છે. મોટા શહેરોમાં ધુમ્મસ અથવા શિયાળામાં વાહનચાલકોને આગળનું દ્રશ્ય સ્પષ્ટ દેખાતું નથી, જેના કારણે અકસ્માતોનું જોખમ વધે છે.આ સમસ્યાના નિવારણ માટે, તેણે એક એવી ઓટોમેટિક લાઇટની શોધ કરી છે જે ઝાંખા પ્રકાશ કે ધુમ્મસ હોય ત્યારે આપમેળે ચાલુ થઈ જાય છે. આ સ્માર્ટ ટોર્ચ ધુમ્મસ અને ઓછા પ્રકાશમાં પણ અસરકારક રીતે કાર્ય કરીને વાહનચાલકોને મદદરૂપ થશે. રાઠોડ દેવની પસંદગી વર્ષ ૨૦૨૫-૨૬ના 'ઇન્સ્પાયર માનક એવોર્ડ' માટે થઈ છે, જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. નોંધનીય છે કે નિલકંઠ ગુરુકુલમ્ ના વિદ્યાર્થીની સતત બીજા વર્ષે આ એવોર્ડ માટે પસંદગી થઈ છે, જે સંસ્થા માટે એક મોટી સિદ્ધિ છે. આ વર્ષે તળાજા તાલુકામાંથી કુલ ત્રણ શાળાના વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે, જેમાં નિલકંઠ ગુરુકુલમ્ ના વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે.આ વિશિષ્ટ સિદ્ધિ બદલ રાઠોડ દેવે તળાજા તાલુકા અને ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. શાળાના આચાર્ય, ટ્રસ્ટીઓ ભરતસિંહ મોરી, વિપુલસિંહ પરમાર, બળદેવસિંહ ચુડાસમા, યશપાલસિંહ વનાર, સંચાલકો, શિક્ષકો અને સ્ટાફગણ સહિત નિલકંઠ ગુરુકુલમ્ પરિવારે વિદ્યાર્થી દેવ રાઠોડ અને તેના માર્ગદર્શક જીવ વિજ્ઞાન શિક્ષક સંજયસિંહ કે. સરવૈયાને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
આ વર્ષે વડોદરા શહેરમાં ધૂળેટી પર્વની ખૂબ જ જોરશોરથી ઉજવણી કરવામાં આવી. આખા શહેરમાં રંગ-ગુલાલ, ડીજેના તાલ, ઢોલના ધમાકા અને યુવાનોની મસ્તીથી માહોલ રંગીન બની ગયો હતો. લોકો સવારથી જ ઘરેથી નીકળીને પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ અને રિસોર્ટમાં પહોંચી ગયા હતા. શહેરભરમાં રંગો અને સંગીત સાથે ધૂળેટીનો માહોલવડોદરા શહેરના દરેક ખૂણે રંગો ઉડતા જોવા મળ્યા હતા. યુવાનો-યુવતીઓએ એકબીજા પર ગુલાલ અને કલર લગાવીને મજા માણી. ઢોલ-નગારા અને ડીજેના બીટ પર બધા ઝૂમી ઉઠ્યા. રેન ડાન્સ, મડ પૂલ અને વોટર પાર્ક જેવી વિશેષ વ્યવસ્થા સાથેના કાર્યક્રમોમાં ભીડ ખૂબ જ હતી. બ્લિસ ફાર્મ, વાટિકા ગ્રીન રિસોર્ટ, ફુલ દ્વાર, આરુશ લોન્સ, ડ્રીમસિટી જેવા સ્થળોએ મોટા-મોટા ઇવેન્ટ યોજાયા, જ્યાં લાઈવ ડીજે, ઢોલ, અનલિમિટેડ ફૂડ અને થંડાઈની વ્યવસ્થા હતી. અલગ અલગ પાર્ટી પ્લોટ પર યુવાનોનો ભારે જમાવડોવડોદરા શહેરના ભાયલી અને સેવાસી સહિતના વિસ્તારોમાં પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસ પર યુવાનોની ભીડ ઉમટી પડી હતી. વિવિધ ઇવેન્ટમાં ઓર્ગેનિક કલર, ફૂલોની હોળી અને પૂલ પાર્ટી જેવી ખાસ વસ્તુઓએ લોકોને આકર્ષ્યા હતા. બધા જ સેલ્ફી, રીલ્સ બનાવવામાં વ્યસ્ત થઈ ગયા હતા. ખાસ કરીને યુવાનોમાં આ બાબતે ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. વાઘેશ્વરી ફાર્મ ખાતે ધૂળેટીનો ખાસ કાર્યક્રમઅહીં DJના તાલે યુવાનો ઝૂમ્યા હતા, રંગો સાથે મસ્તી કરી હતી. એકબીજાને કલર લગાવીને, ડાન્સ કરીને બધાએ ધમાલ મચાવી દીધી હતી. પાર્ટી પ્લોટ પર ખાણી-પીણીની વિશેષ વ્યવસ્થા હતી. અનલિમિટેડ બ્રેકફાસ્ટ, લંચ, સ્નેક્સ, થંડાઈ અને વેજ ફૂડના સ્ટોલ્સ ખૂબ ચાલ્યા હતા. સુરક્ષા માટે અલગથી સિક્યોરિટી અને પાર્કિંગની વ્યવસ્થા પણ સારી હતી, જેથી કોઈને મુશ્કેલી ન પડી. સવારથી જ ધૂળેટીના કાર્યક્રમોમાં લોકોમાં ભારે ઉત્સાહલોકો સવારના 9-10 વાગ્યાથી જ લોકો નીકળી પડ્યા હતા. શહેર પોલીસે પણ સુરક્ષા માટે ખાસ બંદોબસ્ત કર્યો હતો – ફૂટ પેટ્રોલિંગ, ડ્રોન સર્વેલન્સ અને જાહેરમાં કેમિકલ કલર ઉડાડવા પર પ્રતિબંધનું જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. ઘણા લોકોએ ઇકો-ફ્રેન્ડલી કલર અને ફૂલોનો ઉપયોગ કર્યો હતો. વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા હોળી પર્વનું આયોજન કરાયુંપોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ રંગોના પર્વને ઉજવતા નજરે પડ્યા હતા. તેમણે પોલીસ પરિવાર સાથે ખાસ કાર્યક્રમ યોજ્યો હતો, જ્યાં ઇકો-ફ્રેન્ડલી કલર અને ફૂલોથી હોળી રમાઈ હતી. અધિકારીઓ હળવાશ સાથે ડાન્સ-મસ્તીમાં પણ જોડાયા હતા.
ક્લબ,સોસાયટી,ગાર્ડનમાં જામી હોળીની રંગત રાજ્ય સહિત દેશભરમાં આજે ધૂળેટીની ઉજવણી કરાઈ રહી છે. ત્યારે વિવિધ શહેરોમાં લોકો ક્લબ, સોસાયટી,ગાર્ડનમાં હોળીની રંગત જામી.. મડ હોળી, રેઇન ડાન્સ અને DJના તાલે ડાન્સ કરી લોકો હોળી રમ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બે જૂથોએ વરસાવ્યા ખાસડાં અને શાકભાજી મહેસાણાના વિસનગરમાં આજે ધૂળેટીના દિવસે જામ્યું ખાસડાં યુદ્ધ..મંડી માર્કેટમાં બે જૂથોએ એકબીજા પર ખાસડા અને શાકભાજીનો મારો ચલાવ્યો.આ પરંપરા 200 વર્ષ જૂની છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો તળાવમાં ન્હાવા પડેલા બે બાળકો ડૂબી ગયા અરવલ્લીના માલરપુરમાં ગામના તળાવમાં ન્હાવા પડેલા બે બાળકો ડૂબી ગયા.. બંને પિતરાઈ ભાઈઓ હતા..ગામમાં હોળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કીમ નદીમાં ડૂબતા ત્રણ લોકોના મોત નીપજ્યા આ તરફ સુરતના માંગરોળ તાલુકામાં ત્રણ યુવાનો કીમ નદીમાં ડૂબ્યા..ધૂળેટી રમ્યા બાદ ત્રણેય નદીમાં નહાવા ગયા હતા દરમિયાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા મોત નીપજ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતા વિવાદ ભરુચની જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરી.. મુસ્લિમ સમાજે ઘટનાનો વિરોધ કરી કાર્યવાહીની માગ કરી. જામા મસ્જિદ હાલ પુરાતત્ત્વ વિભાગના સંરક્ષણમાં છે , અને તેને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 24 કલાકમાં રેલવે ટ્રેક પર બે લોકોના મોત અમદાવાદમાં 24 કલાકમાં બે લોકોએ ટ્રેનની અડફેટે જીવ ગુમાવ્યા..નારણપુરા આદર્શ પોલીસ ચોકી નજીક આવેલા રેલવે ટ્રેક પર બે લોકોએ જીવ ગુમાવ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પગ બાંધેલી હાલતમાં મળ્યો વૃદ્ધાનો મૃતદેહ અમદાવાદના છારા નગરમાં લૂંટ વિથ મર્ડરની ઘટના બની.. વૃદ્ધાનો મૃતદેહ પગ બાંધેલી હાલતમાં મળી આવ્યો.. અજાણ્યા શખ્સો સોનું રોકડ લૂંટીને ફરાર થઈ ગયા.. પોલીસે તપાસ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રકે રિક્ષાને અડફેટમાં લેતા 4 લોકોના મોત રાજકોટના મેટોડા જીઆઈડીસીમા ટ્રકે રિક્ષાને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બે સગાભાઈ,રિક્ષા ચાલક અને શ્રમિક મળીને ચાર લોકોના મોત નીપજ્યા...પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકચાલકની ધરપકડ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો યુદ્ધના માહોલમાંથી 210 ગુજરાતીઓની વતન વાપસી ઈઝરાયલ - અમેરિકા અને ઈરાન યુદ્ધ વચ્ચે મિડલ ઈસ્ટમાં ફસાયેલા 210 ગુજરાતીઓ પરત ફર્યા. 205 અમદાવાદના અને 5 સુરતના લોકો હેમખેમ વતન પરત ફર્યા. એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર ભાવુક દ્રશ્યો સર્જાયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મોરબી સિરામિક ઉદ્યોગ બંધ થવાના આરે ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની સીધી અસર મોરબીના સિરામીક ઉદ્યોગ પર જોવા મળી.. સાઉદીની અરામકો રિફાઈનરી પર થયેલા હુમલાને કારણે પ્રોપેન ગેસની સપ્લાય ચેન ખોરવાઈ.. 2 થી3 દિવસમાં સેંકડો કારખાના બંધ થાય તેવી સ્થિતિ સર્જાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
પાટણના રાજપુર ગામમાં ધુળેટી પર્વ નિમિત્તે પરંપરાગત 'હાથિયા' કાઢવામાં આવ્યા હતા. બળદોની ઘટતી સંખ્યાને કારણે છેલ્લા 15 વર્ષથી આ હાથિયા શણગારેલા ટ્રેક્ટરમાં કાઢવામાં આવે છે. આ પ્રસંગે સમગ્ર ગામ પ્રદક્ષિણામાં ઉમટી પડ્યું હતું. રાજપુર ગામમાં લેઉવા પાટીદારો, ઠાકોરો અને હરિજનો સહિત આશરે 2500ની વસ્તી છે. 460 વર્ષ પહેલાં અહીં બ્રહ્માણી માતાના મંદિરની સ્થાપના થઈ હતી. ત્યારથી દર ધુળેટીએ ગામલોકો એકત્રિત થઈને આ ધાર્મિક ઉત્સવની ઉજવણી કરે છે. ધુળેટીના દિવસે સવારે બહુચરમાતાના મંદિરમાં ગામલોકો ઉમટ્યા હતા, જ્યાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. બપોરે 3 વાગ્યે સમસ્ત ગામના લોકમેળાવડાની રંગત જામી હતી, ત્યારબાદ બ્રહ્માણી માતાજીનો હાથિયો નીકળ્યો હતો. આ હાથિયો પરંપરાગત રીતે બળદની ચાર જોડથી ગાડામાં નીકળતો હતો અને ગામના નાના બાળકોને બેસાડી ગામની પ્રદક્ષિણા કરાવાતી હતી. જોકે, સમય જતાં બળદોની સંખ્યા ઓછી થતાં અને તેમના અભાવને કારણે છેલ્લા 15 વર્ષથી ચાર ટ્રેક્ટરમાં હાથિયો કાઢવામાં આવે છે. સોમવારે ટ્રેક્ટર ટ્રોલીને કાષ્ટથી શણગારવામાં આવી હતી. ગામની પ્રદક્ષિણા સમયે મહિલાઓ દ્વારા હાથિયાના વધામણાં કરવામાં આવ્યા હતા. મોઢેરાના નાયક બંધુઓએ ચાચર ચોકમાં ભૂંગળ વગાડીને માતાજીની રમઝટ જમાવી હતી.
મહેસાણા જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરીની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત મહેસાણા SOG ટીમે વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. ભાવસોર ગામની સીમમાં આવેલા એક કોલ્ડ સ્ટોરેજની ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલા લીલા ગાંજાના 2 છોડ સાથે એક શખસને ઝડપી પાડવામાં આવ્યો છે. કોલ્ડ સ્ટોરેજની ખુલ્લી જગ્યામાં ગાંજાનું વાવેતરગાંધીનગર રેન્જ આઇજી વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના મુજબ SOG પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ અને તપાસમાં હતો. આ દરમિયાન ASI ડાહ્યાભાઈને સચોટ બાતમી મળી હતી કે, વિજાપુરથી વલાસણા જતા રોડ પર આવેલ 'નીલકંઠ કોલ્ડ સ્ટોરેજ'ની ઓરડીમાં રહેતો રાજુજી ડાહ્યાજી ઠાકોર નામનો શખસ કોલ્ડ સ્ટોરેજની ખુલ્લી જગ્યામાં ગાંજાનું વાવેતર કરી રહ્યો છે. 3.46 લાકની કિંમતના ગાંજાના બે છોડ મળી આવ્યાબાતમીના આધારે SOGની ટીમે પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડતા ત્યાંથી વનસ્પતિજન્ય લીલા ગાંજાના 2 નંગ છોડ મળી આવ્યા હતા. જેનું કુલ વજન 6.990 કિલોગ્રામ અને અંદાજિત કિંમત રૂા. 3,49,500 આંકવામાં આવી છે. પોલીસે આ મુદ્દામાલ જપ્ત કરી 46 વર્ષીય આરોપી રાજુજી ડાહ્યાજી ઠાકોર (રહે. ભાવસોરની સીમ, મૂળ રહે. પરબતપુરા, તા. માણસા) ની અટકાયત કરી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરીઆ મામલે વિજાપુર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી) અને 20(એ)(1) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં એસ.ઓ.જી.ના પીએસઆઈ બી.ડી. વાઘેલા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.
વડોદરા શહેરના તરસાલી બાયપાસ પાસે પાર્ક કરેલી કારના કાચ તોડી કિંમતી સામાન ભરેલી બેગોની ચોરી કરનાર નાસતા ફરતા રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી અગાઉ વડોદરા અને અમદાવાદમાં અનેક ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. શું હતી સમગ્ર ઘટના? ગત તારીખ 11/12/2025 ના રોજ રાત્રિના સમયે તરસાલી બાયપાસ પાસે આવેલા એક ફાર્મ હાઉસ પાસે પાર્ક કરેલી ક્રેટા કારનો કાચ તોડી અજાણ્યા શખ્સોએ અંદર રાખેલી સોનાની ચેઈન, 3000 ડોલર અને કપડાં સહિત કુલ રૂપિયા 1,50,000/- ની કિંમતી વસ્તુઓ ભરેલી 6 બેગોની ચોરી કરી હતી. આ અંગે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મોહમ્મદયાકુબ ઉર્ફે સલીમ ઉર્ફે કાજબ અહેમદહુસેન શેખ (રહે. તાંદલજા, મૂળ રહે. વાડી, વડોદરા) ને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોતાના સાગરીતો સાથે મળીને તરસાલી બાયપાસ પાસેની આ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીનો ગુનાહિત ઇતિહાસ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલ આરોપી મોહમ્મદયાકુબ એક રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ વડોદરા અને અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં કારના કાચ તોડી ચોરી કરવી અને મિલકત સંબંધી ગુનાઓનો સમાવેશ થાય છે. બાપોદ, પાણીગેટ, માંજલપુર, જે.પી. રોડ, મકરપુરા અને હરણી પોલીસ સ્ટેશનના ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત અમદાવાદના વસ્ત્રાપુર અને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના ગુનાઓનો સમાવેશ થાય છે.
મહીસાગર જિલ્લાના રાઘવના મુવાડા ગામમાં તહેવારના દિવસે જ એક હૃદયદ્રાવક ઘટના બની છે. તળાવમાં ન્હાવા પડેલા 4 યુવકોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. ડૂબનારમાં બે સગા ભાઈઓ પણ સામેલ છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તહેવાર નિમિત્તે ગામના 4 યુવકો સ્થાનિક તળાવમાં સ્નાન કરવા માટે ઉતર્યા હતા. ન્હાતી વખતે તળાવના ઊંડા પાણી અને પ્રવાહનો અંદાજ ન આવતા ચારેય યુવકો એકાએક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આસપાસના લોકોએ બચાવવા માટે બૂમો પાડતા સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને તંત્રને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ ઓપરેશનઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કલાકોની ભારે જહેમત અને શોધખોળ બાદ ચારેય યુવકોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 2 દિવસમાં 5 મોતથી ચિંતામહીસાગર જિલ્લામાં જળાશયોમાં ડૂબી જવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં અલગ-અલગ ડૂબવાની ઘટનાઓમાં કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. તહેવારના માહોલમાં યુવાધનના અકાળે અવસાનથી અનેક પરિવારો પર આભ તૂટી પડ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને જળાશયો અને ઊંડા પાણીમાં ન ઉતરવા માટે અપીલ કરવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં ધુળેટી પર્વ દરમિયાન એક દુઃખદ ઘટના બની છે. અમરેલી તાલુકાના ખંભાળિયાથી વિઠ્ઠલપુર જતા માર્ગ પર આવેલી શેત્રુંજી નદીમાં ધુળેટી રમ્યા બાદ નહાવા પડેલા એક યુવકનું ડૂબી જવાથી મોત થયું હતું. ફાયર ટીમે યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. આ ઘટનાની જાણ અમરેલી 112 મારફતે ફાયર કંટ્રોલરૂમને કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર ઓફિસર એચ.સી. ગઢવીની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે પોતાની કુશળતા અને અનુભવના આધારે માત્ર 30 મિનિટમાં જ ડૂબી ગયેલા યુવકના મૃતદેહને શોધી કાઢી પાણીમાંથી બહાર કાઢ્યો હતો. મૃતક યુવકની ઓળખ સમીર મહેશ સોલંકી (ઉંમર 20 વર્ષ), રહેવાસી બહારપરા, અમરેલી તરીકે થઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ રેસ્ક્યુ કામગીરીમાં ફાયર સ્ટાફના જવાનો ભગવતસિંહ ગોહિલ, કૃષ્ણભાઈ ઓળકિયા, મિલનભાઈ ગાંભવા, જગદીશભાઈ ભુરીયા અને ધર્મેશભાઈ જુવાદરીયા જોડાયા હતા.
તરઘરા મોગલ ધામમાં ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી:માતાજીનો દિવ્ય શણગાર કરાયો, ભક્તો દર્શન કરવા ઉમટ્યા
બોટાદ જિલ્લાના પાળીયાદ તાલુકાના તરઘરા સ્થિત આઈ મોગલ ધામમાં ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પર્વ નિમિત્તે માતાજીનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.મોગલ ધામ દ્વારા સંચાલિત ગૌશાળામાં જીવદયા પ્રેમીઓએ અબોલ પશુઓ અને ગાયોને ભોજન કરાવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. માતાજીના દિવ્ય દર્શન અને માઁ મોગલના આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર ધામમાં ભક્તિનો માહોલ છવાયો હતો.આ શુભ અવસરે માઁ મોગલની કૃપા સદાય વરસતી રહે અને ભક્તોનું જીવન સુખ, શાંતિ તથા સમૃદ્ધિથી ભરપૂર રહે તેવા આશીર્વાદ અપાયા હતા.
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના મણિબેન પટેલ વિમેન્સ સ્ટડીઝ સેન્ટર દ્વારા અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગ ખાતે કેક અને ચોકલેટ બનાવવાની વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થિનીઓમાં સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા સ્વરોજગારની તકો ઊભી કરવાનો અને ઉદ્યોગસાહસિકતા વિકસાવવાનો હતો. આ વર્કશોપમાં હોમ સાયન્સ વિભાગની વિદ્યાર્થિનીઓ પુષ્ટિ શાહ અને સદફ સૈયદ દ્વારા અન્ય ૨૫થી વધુ સહભાગીઓને વિવિધ પ્રકારની કેક અને ચોકલેટ બનાવવાની પ્રોફેશનલ તાલીમ આપવામાં આવી હતી. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું. સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા મહિલા સશક્તિકરણના પ્રયાસ રૂપે આ તાલીમ આપવામાં આવી હતી, જેથી વિદ્યાર્થિનીઓ ઘરબેઠાં નાનો વ્યવસાય શરૂ કરી આર્થિક રીતે પગભર બની શકે. હોમ સાયન્સ વિભાગના વડા ડૉ. નમ્રિતા કોલા, વિમેન્સ સ્ટડીઝ સેન્ટરના માનદ નિયામક ડૉ. વિરાજ રોઘેલિયા અને પ્રોજેક્ટ આસિસ્ટન્ટ ભૂમિ ચાવડાના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં એક જ રેલવે ટ્રેક પર ટ્રેન અડફેટે બે વ્યક્તિના મોતની ઘટના સામે આવી છે. જેમાં એક મૃતકની ઓળખ થઈ નથી જ્યારે બીજો મૃતક અખબારનગર વિસ્તારમાં રહેતા આધેડ હોવાનું સામે આવ્યું છે. આ મામલે વાડજ પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ બંને વ્યક્તિઓનું અકસ્માતે મોત થયું છે કે પછી આત્મહત્યા કરી છે. વાડજ પોલીસ દ્વારા આ બંને મામલે હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે. ગઈકાલ રાત્રે ટ્રેન અડફેટે અજાણ્યા વ્યક્તિનું મોતમળતી માહિતી મુજબ શહેરના અખબારનગર અંડરપાસ નજીક નારણપુરા આદર્શ પોલીસ ચોકી આવેલી છે. જ્યાંથી એક રેલવે ટ્રેક પસાર થઈ રહ્યો છે. આ રેલવે ટ્રેક પર ટ્રેન અડફેટે બે વ્યક્તિઓના મોત થયા છે. જેમાં ગઈકાલ રાત્રે એટલે કે, 3 માર્ચના રોજ રાત્રે એક વ્યક્તિ રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ટ્રેન અડફેટે તેનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે સવારના સમયે ટ્રેન અડફેટે આધેડનું મોતઆ ઘટના અંગે સ્થાનિકોને જાણ થતા જ તેમણે તાત્કાલિક વાડજ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ વાડજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જ્યારે આજે 4 માર્ચના રોજ સવારના સમયે ફરી અખબારનગર વિસ્તારમાં આવેલા સ્વાતંત્ર્ય સેનાની નગરમાં રહેતા 50 વર્ષીય આધેડ જ્યારે રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ટ્રેન અડફેટે તેમનું પણ મોત નિપજ્યું છે. બંને વ્યક્તિનું અકસ્માતે મોત કે પછી આત્મહત્યા?જોકે, આ અંગે જાણ કરવામાં આવતા વાડજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. બંને ઘટનામાં વાડજ પોલીસ દ્વારા અકસ્માતે મોત નોંધી તપાસ કરવામાં આવી રહી છે. જોકે, ટ્રેન પસાર થતી હતી ત્યારે અકસ્માતે મોત થયું છે કે, પછી આત્મહત્યા કરી છે. આ બંને મામલે હાલ પોલીસ દ્વારા વધુ તાપસ કરવામાં આવી રહી છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં હોળી અને ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી જ શહેરીજનોએ અબીલ-ગુલાલ સાથે એકબીજાને રંગીને હેપ્પી હોળીના નાદ સાથે ખુશી વ્યક્ત કરી.મોડાસાના માલપુર રોડ પર વિવિધ યુવા ગ્રુપોએ મિત્રોને રંગેબેરંગી રંગોથી રંગ્યા હતા. ઢોલ-નગારાના તાલે ગરબા રમીને ધુળેટીની મોજ માણી હતી. આ ઉજવણીમાં સંકલ્પ ગ્રુપ ખાસ ઓળખ ધરાવે છે. આ ગ્રુપ છેલ્લા 25 વર્ષથી સતત ઇકો-ફ્રેન્ડલી રંગો સાથે ધુળેટીની ઉજવણી કરે છે. તેઓ પ્રકૃતિ પ્રત્યે જવાબદારી અને સંબંધોમાં સદાય રંગીનતા જાળવવાનો સંદેશ પણ ફેલાવે છે. સંકલ્પ ગ્રુપના મિત્રો સુખ-દુઃખમાં એકબીજાનો સાથ આપે છે. ધુળેટીના દિવસે તેઓ પરિવાર સાથે એકબીજાને રંગ લગાવીને મિત્રતા અને એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે.આ રીતે 25 વર્ષથી ચાલતી આ પરંપરા આજે મોડાસામાં મિત્રતા અને સામાજિક એકતાનું પ્રતિક બની છે. શહેરીજનોએ રંગો વચ્ચે ખુશીના પળો સર્જીને ધુળેટીના પર્વને યાદગાર બનાવ્યું હતું.
સમગ્ર ગુજરાતમાં આજે હોળી બાદ બીજા દિવસે ધૂળેટીના પર્વની અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર માં વહેલી સવારથી જ અબાલ-વૃદ્ધ સૌ કોઈ રંગોના આ મહોત્સવમાં તરબોળ જોવા મળી રહ્યા છે. શેરીઓ, મહોલ્લાઓ અને સોસાયટીઓમાં 'હોલી હૈ' ના ગુંજારવ સાથે લોકો એકબીજાને ગુલાલ અને પાણીથી ભીંજવીને પર્વની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ગાંધીનગરના ધૂળેટીના કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતારાજ્યના પાટનગર ગાંધીનગરમાં ધૂળેટી પર્વની વિશેષ ધામધૂમ જોવા મળી હતી. ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ગાંધીનગરના મેયર પણ નગરજનો સાથે રંગોત્સવના રંગે રંગાયા હતા અને પરસ્પર ગુલાલ લગાવી તહેવારની ઉજવણી કરી હતી. ધારાસભ્ય રીટા પટેલે પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે ઉજવણી કરીબીજી તરફ રાજકીય અગ્રણીઓએ પણ કાર્યકરો અને જનતા વચ્ચે જઈને ઉત્સવ મનાવ્યો હતો. ધારાસભ્ય રીટા પટેલે પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે હોળી-ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો પણ જોડાયા હતા. શહેરની વિવિધ સોસાયટીઓમાં પણ સવારથી જ ડીજેના તાલે યુવાધન ઝૂમતું જોવા મળ્યું હતું. સવારથી જ સઘન પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો તહેવારના આનંદમાં કોઈ ખલેલ ન પહોંચે અને ક્યાંય પણ અણબનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સવારથી જ સઘન પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, જેથી શાંતિપૂર્ણ માહોલમાં લોકો તહેવારની મજા માણી શકે. ગાંધીનગરમાં આજે સવારથી જ રંગોની છોળો ઉડી રહી છે શહેરની સોસાયટીઓમાં સમૂહ ભોજન અને રેઈન ડાન્સના આયોજનોએ આકર્ષણ જમાવ્યું હતું. વિવિધ જ્ઞાતિ-જાતિના લોકોએ સાથે મળીને ભાઈચારાના સંદેશ સાથે પર્વની ઉજવણી કરી હતી. આમ, સમગ્ર ગાંધીનગરમાં આજે સવારથી જ રંગોની છોળો ઉડી રહી છે અને ભાઈચારાના પ્રતિક સમાન આ પર્વે જનજીવનને ઉત્સાહથી ભરી દીધું છે.
સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘની પ્રથમ કારોબારી બેઠક કે.પી. બોયઝ સ્કૂલ ખાતે યોજાઈ હતી. મહામંત્રી યુવરાજસિંહે શાબ્દિક સ્વાગત કરીને એજન્ડા મુજબ કાર્યવાહી આગળ વધારી હતી. આ બેઠકમાં સંઘના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સૌપ્રથમ જિલ્લા આચાર્ય સંઘના અધિવેશનના સ્થળ અને કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને તેને બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ, સુરેન્દ્રનગર જિલ્લામાંથી રાજ્યના બે પ્રતિનિધિઓની નિયુક્તિ કરવાના એજન્ડા મુજબ પ્રમુખ સુનિલભાઈએ મનુભાઈ જોગરાણા અને મુકેશભાઈ ઉપાધ્યાયના નામની દરખાસ્ત કરી હતી, જેને સર્વસંમતિથી મંજૂરી મળી હતી. અધ્યક્ષ આર.કે. ગોહિલે ઓપીએસ ફાઈલ અને સેવા જોડાણ સંબંધિત ઓફિસ દ્વારા થયેલી કાર્યવાહી તેમજ તે અંગેની રજૂઆતો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. અધિવેશનના કન્વીનર તરીકે સંદીપભાઈ પટેલ અને સહ-કન્વીનર તરીકે ગજેન્દ્રસિંહ ઝાલાની નિમણૂક કરવામાં આવી હતી. આ કારોબારીમાં સંઘની અત્યાર સુધીની કાર્યવાહી, ઓફિસમાં ઉદ્ભવેલા પ્રશ્નો અને રાજ્ય કક્ષાના પ્રશ્નોની વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. પ્રથમ કારોબારી બેઠકમાં તમામ સભ્યો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા, જે બદલ અધ્યક્ષ, પ્રમુખ અને મહામંત્રી દ્વારા સર્વનો આભાર માનવામાં આવ્યો હતો. આગામી સમયમાં આચાર્યો એક બનીને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સાથે સંકલન સાધી, સુરેન્દ્રનગર જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં ઉત્તમ પરિણામ લાવવા, વધુ બાળકોને પ્રવેશ અપાવવા અને જિલ્લાના શિક્ષણ સ્તરને રાજ્ય કક્ષાએ જાળવી રાખવા તેમજ વિદ્યાર્થી હિતલક્ષી કાર્યવાહીઓ શ્રેષ્ઠ રીતે થાય તેવો સંકલ્પ સર્વેએ કર્યો હતો.
ઉત્તર ગુજરાતના મુખ્ય મથક મહેસાણા શહેરમાં આજે ધુળેટીના પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના માર્ગો અને સોસાયટીઓ અબીલ-ગુલાલના રંગોથી રંગાઈ ગયા હતાં. ખાસ કરીને શહેરના સમર્પણ ચોક અને ડી-માર્ટ સર્કલ જેવા વિસ્તારોમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ડિજેના સથવારે રંગોમાં રંગાઈ પર્વની ઉજવણીમહેસાણાના સમર્પણ ચોક વિસ્તારમાં આયોજિત ધુળેટીના કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયકે હાજરી આપી હતી. તેમણે સામાન્ય નાગરિકો અને કાર્યકરો સાથે મળીને હોળીના રંગોમાં રંગાઈ પર્વની ઉજવણી કરી હતી. લોકપ્રિય નેતાને પોતાની વચ્ચે જોઈ લોકોમાં પણ ભારે આનંદ જોવા મળ્યો હતો. સાંસદ પણ રંગોમાં રંગાઈ ગયાબીજી તરફ શહેરના વ્યસ્ત ગણાતા ડી-માર્ટ સર્કલ પાસે લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ પણ ધુળેટીની રમતમાં જોડાયા હતાં. તેમણે પક્ષના કાર્યકરો અને આમ જનતા સાથે રંગો રમીને પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. મહેસાણા શહેરમાં ઠેર-ઠેર લોકો ડીજેના તાલે અને પરંપરાગત ગીતો સાથે હોળી રમતા જોવા મળ્યા હતા. શહેરભરમાં શાંતિપૂર્ણ માહોલમાં અને ભાઈચારા સાથે ધુળેટીની ઉજવણી સંપન્ન થઈ હતી.
ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. જોકે, આ વખતે પરીક્ષા લાંબી ચાલવાની હોવાથી 26 ફેબ્રુઆરીએ શરૂ થયેલી પરીક્ષા 18 માર્ચના રોજ પૂરી થવાની છે. બોર્ડની પરીક્ષા લાંબી ખેંચવામાં આવતા રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા ગુજરાત બોર્ડને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં બોર્ડની પરીક્ષા લાંબી ચાલતી હોવાથી ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી હોવાની રજૂઆત કરવામાં આવી છે. શિક્ષકો સુપરવાઈઝરની કામગીરીમાં અને શાળામાં બોર્ડનું સેન્ટર હોવાથી ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પૂરતો અભ્યાસ કરાવી શકાતો ન હોવાથી બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરી વહેલી પૂર્ણ કરવા માટે માંગ કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષાઓ વહેલી પૂરી કરાવવા રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા માંગજેથી રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા ગુજરાત બોર્ડને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે, બોર્ડની પરીક્ષા લાંબી ખેંચવામાં આવતા અન્ય વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. શિક્ષકો સુપરવાઈઝરની કામગીરીમાં જોડાયેલા હોવાથી અભ્યાસક્રમ પણ અધૂરી રહી જાય એવી સ્થિતિ સર્જાઈ છે. 16 તારીખ સુધીમાં પરીક્ષા પૂર્ણ થઈ જતી હતી પરંતુ, હોળી અને ધૂળેટીના તહેવારની રજાઓ હોવાથી તે તારીખમાં યોજાયેલી પરીક્ષા 18 તારીખે યોજવામાં આવી છે. જેથી પરીક્ષા લાંબી ચાલવાની છે. જેથી રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા માંગ કરવામાં આવી છે કે, પરીક્ષા વહેલી પૂર્ણ કરી શિક્ષકોને ફ્રી કરી દેવામાં આવે જેથી તે અન્ય વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂર્ણ કરી શકે. ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છેરાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, પહેલા પુણા બોર્ડ હતું ત્યારે રોજના બે પેપર લેવાતા હતા જેમાં વચ્ચે એક કલાકનો સમય આપવામાં આવતો હતો. જે 5 દિવસમાં પૂર્ણ થઈ જતી હતી. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં વચ્ચે એક એક દિવસનો ગેપ આપવામાં આવે છે. જેનો અમને કોઈ વિરોધ નથી પરંતુ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે. અમારા શિક્ષકો સુપરવાઈઝર હોય છે કે પરીક્ષાના કામથી બીજા સેન્ટર પર જતા હોય છે. જેથી અમારી શાળાઓમાં રામ રાજ્ય અને પ્રજા સુખી જેવી સ્થિતિ છે. 20 દિવસ અભ્યાસ બગડે તો સ્વભાવિક છે કે ત્રણ ચાર ચેપ્ટર કે પાઠ ચાલી શકે નહીં. છતાં પણ વાર્ષિક પરીક્ષામાં તેમાંથી સવાલ પૂછવામાં આવે છે. પરીક્ષાનો સમય ખૂબ લાંબો રાખવામાં આવ્યો છે તે ટૂંકો કરવામાં આવેવધુમાં ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, ફ્લાઇંગ સ્કોડ હોય સ્થાયી સ્કોડ હોય તેના પણ ભાડા ભથ્થા ચડવાના છે. કારણ કે પરીક્ષા ન હોય તો તે ઘરે પરત થોડી આવવાના છે. તેમજ અત્યારે પરીક્ષાનો એક મોટો હાવ ઉભો કરવામાં આવ્યો છે. જેથી તેની અસર વિદ્યાર્થીઓ પર ખરાબ પડી છે. પરીક્ષા ખરાબ જાય તો માનસિક તણાવમાં આવીને વિદ્યાર્થી આત્મહત્યા કરતો હોય છે. જેથી અમે રજૂઆત કરી છે કે પરીક્ષાનો સમય ખૂબ લાંબો રાખવામાં આવ્યો છે તે ટૂંકો કરવામાં આવે અને જરૂર જણાય તો સવાર અને સાંજ એમ એક દિવસમાં બે પેપર રાખીને વહેલો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવે અને શિક્ષકો વહેલા ફ્રી થશે તો ધોરણ 9 અને 12ના વિદ્યાર્થીઓના અભ્યાસ પર નુકશાન થતું અટકાવી શકાય.
કલ્કિ તીર્થધામ સંધમેળા માટે મોડાસામાં આયોજન બેઠક:552મો પરંપરાગત મેળો 20 માર્ચ 2026ના રોજ યોજાશે
મોડાસાના પ્રાર્થના હોલ ખાતે શ્રી કલ્કિ તીર્થધામ પ્રેરણાપીઠના ૫૫૨મા પરંપરાગત સંધમેળાના આયોજન માટે એક બેઠક યોજાઈ હતી. આ મેળો સંવત 2082 ચૈત્ર સુદ-2, એટલે કે 20 માર્ચ, 2026ના રોજ શુક્રવારે યોજાવા જઈ રહ્યો છે. આ બેઠક અરવલ્લી જિલ્લામાંથી પગપાળા જતા પદયાત્રી સંઘના આયોજન માટે હતી. આ વર્ષે અરવલ્લી વિભાગને પ્રેરણાપીઠ ખાતે ભોજનપ્રસાદ, ચા અને નાસ્તાની જવાબદારી સોંપવામાં આવી છે, જેની યોજનાઓ ઘડવામાં આવી હતી. મંત્રીએ સમાજના સૌ સભ્યોને આવકાર્યા હતા. સભાની શરૂઆત પહેલાં, આ વર્ષે અવસાન પામેલા સભ્યોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સભા અધ્યક્ષ તરીકે રમેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રેરણાપીઠના ટ્રસ્ટી અંબાલાલ પટેલ, કે.કે.પી. ટ્રસ્ટના મંત્રી હરિ પટેલ (ગઢકંપા), કે.કે.પી.ના ટ્રસ્ટી ઈશ્વર પટેલ, સતપંથના પ્રમુખ અંબાલાલ પટેલ, તેમજ પદયાત્રી પગપાળા સંઘના પ્રમુખ જયંતિભાઈ એચ. પટેલ અને મંત્રી રણછોડે પ્રેરણાપીઠના આયોજનની વિગતો જણાવી હતી. આ બેઠકમાં સતપંથ સમાજના પ્રમુખ દ્વારા જગદીશ પટેલ (લિંભોઈકંપા)ને અરવલ્લી જિલ્લા ભાજપ ઉપપ્રમુખની જવાબદારી મળતા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આયોજન માટે સમાજના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
છોટા ઉદેપુરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે ધૂળેટીની ઉજવણી:જિલ્લા પોલીસ વડા, DDO સહિત અધિકારીઓ જોડાયા
છોટા ઉદેપુર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ પરિવારે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ અને જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. પોલીસ જવાનોએ પોતાના પરિવાર અને બાળકો સાથે મેદાનમાં એકબીજાને રંગ લગાવીને ધામધૂમપૂર્વક ધૂળેટીની ઉજવણી કરી હતી. હેડક્વાર્ટર મેદાન પર ડીજેના સંગીતના તાલે ઝૂમીને રંગોનો આ તહેવાર ઉત્સાહભેર મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ, જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ પણ એકબીજાને રંગ લગાવીને રંગોના આ તહેવારની ઉજવણીમાં ભાગ લીધો હતો. જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે આ પ્રસંગે જિલ્લાવાસીઓને ધૂળેટીની શુભકામનાઓ પાઠવી હતી અને સુરક્ષિત ધૂળેટી ઉજવવા અપીલ કરી હતી.
પાળિયાદ પાંજરાપોળને શાહ પરિવારનું ₹1 લાખનું અનુદાન:માતા-પિતાની સ્મૃતિમાં જીવદયા માટે અર્પણ કરાયા
બોટાદ જિલ્લાના પાળિયાદ સ્થિત મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને ₹1,00,000 (એક લાખ રૂપિયા)નું અનુદાન મળ્યું છે. આ દાન અમદાવાદ નિવાસી શાહ પરિવારે તેમના સ્વર્ગસ્થ માતા મધુ શાહ અને પિતા ચંપકલાલ શાહની સ્મૃતિમાં જીવદયાના કાર્ય માટે આપ્યું છે. આ અનુદાન ફાલ્ગુની શાહ પરિવારે અર્પણ કર્યું હતું. મૂળ પાળિયાદના વતની શાહ પરિવાર હાલ અમદાવાદમાં સ્થાયી થયેલો છે અને જીવદયા પ્રત્યે ઊંડો પ્રેમ ધરાવે છે. પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તેમજ સેવાભાવી ટીમે સ્વર્ગસ્થ મધુ અને ચંપકલાલને સ્નેહ સ્મરાંજલિ અર્પણ કરી હતી. તેમણે પરિવારના જીવદયાના આ સુકૃત કાર્યની ખૂબ પ્રશંસા કરી હતી.ટ્રસ્ટ દ્વારા દાતાઓનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો. સાથે જ, તેમણે લોકોને શક્ય તેટલી વધુ અબોલ જીવોની સેવા કરવા માટે ખાસ વિનંતી કરી હતી.
સુરેન્દ્રનગર પોલીસ વડાએ પરિવાર સાથે હોળી ઉજવી:અધિકારીઓ અને જવાનોએ રંગોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ તેમના પોલીસ પરિવાર સાથે હોળી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. આ પ્રસંગે રંગો અને આનંદના માહોલ વચ્ચે સમગ્ર પોલીસ પરિવાર એકતાના રંગે રંગાઈ ગયો હતો. જિલ્લા પોલીસ વડાએ તમામ પોલીસ પરિવારોને હોળી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેઓ પોતે પણ પોલીસ પરિવાર સાથે રંગ ઉડાડતા અને નૃત્ય કરતા જોવા મળ્યા હતા, જેના કારણે વાતાવરણમાં અનેરો ઉત્સાહ છવાઈ ગયો હતો. આ ઉજવણીમાં જિલ્લા પોલીસ વડા સાથે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ SOG અને LCB સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ મન મૂકીને હોળી રમી હતી. સૌએ પરસ્પર રંગ લગાવીને આનંદ વ્યક્ત કર્યો હતો. હોળીના આ ઉત્સવ દરમિયાન મેઘધનુષ્ય જેવા રંગીન દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં એકતા, પ્રેમ અને સૌહાર્દના રંગો ઝળહળતા જોવા મળ્યા હતા.
રાજ્યભરમાં ધૂળેટીની ઉજવણી, ભરૂચમાં રંગોત્સવની ધૂમ:લોકોએ એકબીજાને રંગ લગાવી શુભેચ્છાઓ પાઠવી
સમગ્ર રાજ્યભરમાં રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના બીજા દિવસે આ તહેવાર ઉજવાય છે. વિવિધ શહેરો અને ગામોમાં ધૂળેટી નિમિત્તે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં તમામ વય જૂથના લોકો જોડાયા હતા. ભરૂચ જિલ્લામાં પણ અનેક સ્થળોએ ધૂળેટીના આયોજનો થયા હતા. લોકોએ એકબીજાને રંગ લગાવી શુભેચ્છાઓ પાઠવી હતી. રંગબેરંગી ગુલાલ અને રંગોથી વાતાવરણ છવાઈ ગયું હતું. શહેરના વિસ્તારોમાં નાના બાળકો પિચકારી અને પાણીના ગુબ્બારાઓ સાથે ધૂળેટી રમતા જોવા મળ્યા હતા. યુવાનોમાં પણ તહેવારને લઈને ઉત્સાહ હતો. ધૂળેટી પર્વ દરમિયાન જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મુખ્ય વિસ્તારોમાં પોલીસની દેખરેખ રાખવામાં આવી હતી. જિલ્લા ભાજપ દ્વારા પણ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના નિવાસસ્થાને મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થયા હતા. તેમણે એકબીજાને રંગ લગાવી અને મીઠાઈ ખવડાવી પર્વની ઉજવણી કરી હતી. ભરૂચ જિલ્લામાં 24 કલાક લોકોની સેવામાં હાજર રહેતી 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓએ પણ એકબીજાને રંગ લગાવી શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લામાં કુલ 34 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે અને અંદાજે 130 જેટલા કર્મચારીઓ હોળી-ધૂળેટી દરમિયાન ખડે પગે તૈનાત રહ્યા હતા.
બોટાદમાં સૌરાષ્ટ્ર ક્રેડિટ કો. ઓ. સોસાયટીના મંત્રી હનીફ હમીરભાઈ કુરેશી સામે રૂ. 25,80,538ની ઉચાપતનો આરોપ લાગ્યો છે. તેમણે સોસાયટીના પ્રમુખ સહિત 11 સભાસદોના ખાતામાંથી થાપણની રકમ ઓછી દર્શાવીને આ ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મંત્રી હનીફ કુરેશીએ સભાસદો દ્વારા જમા કરાવવામાં આવેલી થાપણની વાસ્તવિક રકમ કરતાં ઓછી રકમ ખાતામાં દર્શાવી હતી અને બાકીની રકમની ઉચાપત કરી હતી. આ ઘટના બાદ મંત્રી હનીફ કુરેશી સોસાયટીની ઓફિસને તાળા મારી ફરાર થઈ ગયા છે. આ મામલે સૌરાષ્ટ્ર ક્રેડિટ કો. ઓ. સોસાયટીના પ્રમુખ કિશોરભાઈ નરશીહભાઈ કાપડીયાએ હનીફ કુરેશી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે હનીફ હમીરભાઈ કુરેશી વિરુદ્ધ કલમ 316(2), 316(5), 318(4) અને 366(3) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉચાપત અંગેની માહિતી પ્રમુખ કિશોરભાઈ નરશીહભાઈ કાપડીયાએ આપી હતી.
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નવા (જાંબુ ફળી) ગામે ધુળેટીના તહેવારની ઉજવણી વચ્ચે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. ગામના તળાવમાં નહાવા પડેલા બે પિતરાઈ ભાઈના ડૂબી જવાથી મોત નિપજ્યાં છે, જેના કારણે આખા ગામમાં હોળી-ધુળેટીની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે. ઊંડા પાણીમાં ઉતરી જવાથી બંને ડૂબવા લાગ્યા મળતી માહિતી મુજબ, નવા જાંબુ ફળી વિસ્તારમાં રહેતા બે તરુણ, રાયચંદ ડામોર અને જૈમીન ડામોર, ધુળેટી રમીને શરીર સાફ કરવા અથવા નહાવા માટે ગામના તળાવે ગયા હતા. બંને બાળક ધોરણ 5 અને 6માં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે. નહાતી વખતે અચાનક ઊંડા પાણીમાં ઉતરી જવાથી બંને બાળક ડૂબવા લાગ્યા હતા. આ પણ વાંચો, મહીસાગર નદીમાં બે યુવાન ડૂબ્યા, એકનું મોત આખું ગામ તળાવ કિનારે ઉમટી પડ્યું બાળકો ડૂબ્યા હોવાની જાણ થતા જ આખું ગામ તળાવ કિનારે ઉમટી પડ્યું હતું. તાત્કાલિક મોડાસા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ભારે જહેમત બાદ બંને તરુણના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ પણ વાંચો, હળવદમાં નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવાનનું મોત, પાણી પીવા જતાં પગ લપસ્યો બંને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા માલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે માલપુર CHC (રેફરલ હોસ્પિટલ) ખાતે ખસેડવામાં આવ્યા છે. તહેવારના દિવસે જ બે આશાસ્પદ બાળક ગુમાવતાં ડામોર પરિવાર અને સમગ્ર ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
દાહોદ જિલ્લા સબજેલમાં હોળી-ધુળેટી પર્વ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેલોના પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન. રાવની સૂચના અનુસાર, બંદીવાનો તહેવારના આનંદથી વંચિત ન રહે તે હેતુથી આ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ ઉપસ્થિત રહી કેદીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ઉજવણીની શરૂઆત કુદરતી રંગોથી થઈ હતી. ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, જેલ અધિક્ષક એમ.એલ. ગમારા અને અન્ય અધિકારીઓએ કેદીઓ સાથે કેસૂડાના ફૂલોમાંથી બનેલા પ્રાકૃતિક રંગોથી ધુળેટી રમી હતી. જેલ અધિક્ષક એમ.એલ. ગમારાએ જણાવ્યું કે, દાહોદ સબજેલમાં દરેક ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારની ઉજવણી થાય છે, જેથી કેદીઓમાં સકારાત્મકતા જળવાઈ રહે. ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ કેદીઓને સંબોધતા કહ્યું કે, આ આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર છે, જે પરંપરાગત રીતે ઉજવાય છે. તેમણે કેસૂડાના પ્રાકૃતિક રંગોના ઔષધીય ગુણધર્મો વિશે પણ માહિતી આપી હતી. તેમણે દાહોદની પરંપરા મુજબ હોળી દરમિયાન વાલોર-પાપડીનું શાક ખાવાનું મહત્વ સમજાવ્યું. ધારાસભ્યએ જેલના રસોડાની મુલાકાત લઈ કેદીઓ માટે બનેલા વાલોર-પાપડીના શાકની ચકાસણી કરી જેલ પ્રશાસનની કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો. કાર્યક્રમમાં સાંપ્રદાયિક સૌહાર્દ પણ જોવા મળ્યો. ધારાસભ્યએ મુસ્લિમ કેદીઓને પવિત્ર રમઝાન માસની શુભેચ્છાઓ પાઠવી. તેમણે રમઝાન દરમિયાન રોઝા રાખતા કેદીઓને અપાતી સુવિધાઓ વિશે જેલ પ્રશાસન પાસેથી માહિતી મેળવી. ઉજવણીના અંતે, ધારાસભ્ય, જેલ સ્ટાફ અને કેદીઓએ આદિવાસી પરંપરા મુજબ 'ટીમલી'ના તાલે નૃત્ય કર્યું.
પાટણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને સરસ્વતી તાલુકાના રખાવ ગામના ગ્રામજનોએ દેશી દારૂના દૂષણ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. જેને પગલે સ્થાનિક રાજકારણ અને પોલીસ તંત્રમાં ગરમાવો આવી ગયો છે. હોળી ઘૂળેટીનું પર્વ ઉજાવતાં ધારાસભ્ય જનતારેડ બાદ પોલીસ સ્ટેશન પર દોડી ગયા હતા. વારંવારની રજૂઆતો છતાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા ગ્રામજનોએ જાતે જ દારૂના અડ્ડાઓ પર 'જનતા રેડ' કરી, દારૂ બનાવવાનો સામાન જપ્ત કર્યો હતો અને આ તમામ મુદ્દામાલ સાથે સરસ્વતી પોલીસ સ્ટેશન પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો. અહીં પાટણના ધારાસભ્યનું એંગ્રીયંગમેન રૂપ જોવા મળ્યું હતું. તેમણે પોલીસનો ઉધડો લીધો હતો. પ્રસંગમાં પણ દારૂના અડ્ડા ચાલુ રહેતા વિવાદપ્રાપ્ત માહિતી અનુસાર, રખાવ ગામમાં હાલમાં એક પ્રતિષ્ઠા મહોત્સવ જેવો ધાર્મિક પ્રસંગ ચાલી રહ્યો છે. પવિત્ર વાતાવરણ વચ્ચે પણ ગામમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ ન થતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે અનેકવાર મૌખિક અને લેખિત જાણ કરવા છતાં પોલીસ કોઈ નક્કર પગલાં ભરતી નથી. અંતે જનતાએ કાયદો હાથમાં લીધા વિના, પુરાવા એકઠા કરવાના હેતુથી અડ્ડાઓ પર જઈ દારૂ ગાળવાની ભઠ્ઠીઓ અને અન્ય સાધનો કબજે કર્યા હતા. પોલીસ સ્ટેશનમાં ધારાસભ્યની ગર્જનાપાટણ ધારાસભ્ય કિરીટ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ગામની અંદર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે. વારંવાર પોલીસને, PI ને જાણ કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી. એ દિવસે મેં મારા ફોનથી PI ચૌધરીને ફોન કરેલો. PI ચૌધરીએ ઉદ્ધત જવાબ આપેલા, એવું સમજે છે PI કે આ એના બાપનું પોલીસ સ્ટેશન છે! એવું કહ્યું કે કોઈ દારૂ વેચાતો નથી. એના પછી મેં SPને પણ ફોન કરેલો, એના પછી ફરીથી મેં બે વાર ફોન કરેલા. છતાં પણ સરસ્વતી PI મોટા હપ્તા લઈ, સરસ્વતી પોલીસ સ્ટેશનના જે જે અધિકારીઓ અહીં છે... એ ગામ લોકોનું કહેવું છે કે મોટા મોટા હપ્તા લઈ અને દેશી દારૂનું વેચાણ કરાવતા હતા. આજે ગામ લોકો ભેગા થઈ અને જનતા રેડ કરી અને બધો સામાન લઈને અહીં આવ્યા છે. ગામના લોકોએ PI ને ફોન કર્યો તો PI એવો જવાબ આપ્યો કે મને ટાઈમ નથી તમારે થાય એ કરી લો, અને ઉપરથી જે લોકો રેડ કરવા ગયેલા હતા એમના ઉપર ખોટા પોલીસ કેસ કરવાની ધમકીઓ આપેલ છે. વારંવાર રજૂઆત કરવા છતાં જો ધારાસભ્યની પણ રજૂઆત ના સંભળાતી હોય તો આ PI ને શું હવા હશે અથવા કેટલો હપ્તો મળતો હશે એની તપાસ કરવી જોઈએ. એના જે પણ જવાબદાર અધિકારી હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ.તંગ વાતાવરણ અને તંત્ર સામે સવાલોધારાસભ્યએ તાત્કાલિક અસરથી સરસ્વતી તાલુકાના તમામ ગામોમાંથી દેશી દારૂના અડ્ડાઓ નાબૂદ કરવાની માંગ કરી છે. પોલીસ મથક પરિસરમાં લોકોના ટોળેટોળા ઉમટી પડતા અને સૂત્રોચ્ચાર થતા વાતાવરણ તંગ બન્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં કડક કાર્યવાહી નહીં થાય તો આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે આટલા મોટા વિવાદ બાદ પોલીસ તંત્ર જાગશે કે પછી બુટલેગરો સામેની કાર્યવાહી માત્ર કાગળ પર જ સીમિત રહેશે.
આનંદધામ ગ્રીન સિટીમાં ધુળેટી પર્વની ઉજવણી:સોસાયટી પરિવારે ઉત્સાહભેર રંગોત્સવ મનાવ્યો
બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલ આનંદધામ ગ્રીન સિટી પરિવાર દ્વારા ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સોસાયટીના રહેવાસીઓએ એકબીજાને રંગો લગાવી આ તહેવારનો આનંદ માણ્યો હતો. આનંદધામ ગ્રીન સિટીના લોકો દરેક તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે. આ પરંપરા જાળવી રાખીને, ધુળેટીના દિવસે પણ વડીલો, આગેવાનો અને બાળકો સહિત સૌ ભેગા મળીને રંગેચંગે પર્વ મનાવ્યું હતું. ધુળેટીનો તહેવાર પ્રેમ અને એકતાનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજા સાથે હળીમળીને રહેવાનો સંદેશ આપે છે. સોસાયટીના સભ્યોએ ભવ્ય રીતે આ ઉજવણી કરી હતી અને સૌએ સુખમય જીવન માટે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી હતી.
ઐતિહાસિક નગરી જૂનાગઢમાં આજે રંગોનો ઉત્સવ 'ધુળેટી' અત્યંત હર્ષોલ્લાસ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. સવારથી જ જૂનાગઢની શેરીઓ, ગલીઓ અને રહેણાંક સોસાયટીઓ રંગબેરંગી કલરોથી રંગાઈ ગઈ હતી. બુરા ન માનો હોલી હૈ ના નાદ સાથે સમગ્ર શહેરમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. ગિરનારની તળેટીથી લઈને શહેરના મુખ્ય ચોક સુધી દરેક ખૂણે અબીલ-ગુલાલની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. યુવાશક્તિનો થનગનાટ અને ડીજેના તાલે ગરબા જૂનાગઢના યુવાનો મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. ઠેર-ઠેર ડીજેના તાલે યુવાધધન હિલોળે ચડ્યું હતું. આધુનિક ગીતો અને દેશભક્તિના ગીતો વચ્ચે ગુજરાતીઓની શાન સમા 'ગરબા'ની રમઝટ પણ બોલાવવામાં આવી હતી. ખાસ કરીને મહિલા મંડળોએ સોસાયટીઓમાં એકઠા થઈને પરંપરાગત ગરબા ગાઈને ધુળેટીના પર્વને સાંસ્કૃતિક ઓપ આપ્યો હતો. યુવાનોમાં સેલ્ફી લેવાનો અને એકબીજા પર રંગો છાંટવાનો અદભૂત ક્રેઝ જોવા મળ્યો હતો. બાળકોની મોજ અને રંગોના ફુવારા નાના ભૂલકાઓએ પિચકારીઓ અને રંગબેરંગી ફુગ્ગાઓ સાથે આ પર્વની મજા માણી હતી. શહેરના અનેક વિસ્તારોમાં આયોજકો દ્વારા 'રેઈન ડાન્સ' અને પાણીના ફુવારાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. ક્યાંક કુત્રિમ હોજ બનાવીને તો ક્યાંક હોઝ પાઈપ વડે પાણીની છોળો ઉડાડીને લોકોએ ગરમીની વચ્ચે ઠંડકનો અહેસાસ કર્યો હતો. બાળકોના ચહેરા પર છવાયેલા ગુલાબી અને વાદળી રંગોએ ઉત્સવની રોનક વધારી દીધી હતી. સિંધી સમાજની વિશિષ્ટ પરંપરા અને સ્વાદિષ્ટ ભોજન આ ઉજવણીમાં સિંધી સમાજનો પણ વિશેષ ફાળો રહ્યો હતો. સિંધી સમાજના અગ્રણી કાળુભાઈ સુખવાણીએ જણાવ્યું હતું કે આજે સિંધી સમાજના તમામ લોકો એકઠા થઈને પરંપરાગત રીતે રંગોના પર્વની ઉજવણી કરી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, સિંધી સમાજમાં આ દિવસે ખાસ પ્રકારના સ્વાદિષ્ટ મિષ્ટાન્ન અને ગરમાગરમ ગાંઠિયાનું વિતરણ કરવામાં આવે છે. પરસ્પર ભાઈચારો વધે તેવા હેતુ સાથે સિંધી પરિવારોએ એકબીજાને ગુલાલ લગાવી મોઢું મીઠું કરાવીને આ પર્વની અનોખી ઉજવણી કરી હતી. ભક્તિ અને શક્તિનો સંગમ: 'હર હર મહાદેવ'નો નાદ જૂનાગઢ એટલે શિવની ભૂમિ. ધુળેટીના રંગો વચ્ચે પણ ભક્તિનો પ્રવાહ વહેતો રહ્યો હતો. અનેક જગ્યાએ યુવાનોના ટોળાઓમાં 'હર હર મહાદેવ'ના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા. રંગોત્સવ દરમિયાન શિવ ભક્તિનો આ સંગમ જૂનાગઢની સંસ્કૃતિની ઓળખ આપતો હતો. લોકોએ પરંપરાગત પૂજા-અર્ચના બાદ ગુલાલથી મહાદેવને પણ રંગ્યા હતા. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને શાંતિપૂર્ણ વાતાવરણ કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જૂનાગઢ પોલીસ તંત્ર દ્વારા સવારથી જ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલિંગ સતત ચાલુ રહ્યું હતું. પોલીસના આ ચુસ્ત બંદોબસ્તને કારણે સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં રંગોત્સવની ઉજવણી સંપન્ન થઈ હતી. લોકોએ પણ સ્વયંભૂ શિસ્ત જાળવીને પોલીસ તંત્રને સહકાર આપ્યો હતો.આમ, જૂનાગઢમાં ધુળેટીનો તહેવાર માત્ર રંગોનો ઉત્સવ જ નહીં, પરંતુ ભાઈચારો, સંસ્કૃતિ અને આનંદનો ત્રિવેણી સંગમ બની રહ્યો હતો.
લોકસભાના દંડક ધવલ પટેલના નિવાસસ્થાને ધુળેટીની ધૂમ:DJના તાલે હોદ્દેદારો અને કાર્યકરો મનમૂકીને ઝૂમ્યા
વલસાડ શહેરના અબ્રામા ખાતે લોકસભાના દંડક ધવલ પટેલના નિવાસસ્થાને હોળી-ધુળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણી દરમિયાન ડીજેના તાલે ગીતો ગુંજી ઉઠ્યા હતા, જેના પર કાર્યકરો ઉત્સાહભેર ઝૂમ્યા હતા. સમર્થકો અને કાર્યકરોએ એકબીજાને ગુલાલ લગાવી મોં મીઠું કરાવી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી, જેનાથી વાતાવરણ આનંદમય બન્યું હતું. ધવલ પટેલે પોતે કાર્યકરો સાથે રંગે રમીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ તહેવાર ભાઈચારા અને સંપનો છે. આજે તમામ કાર્યકરો અને મિત્રો સાથે મળીને આ પર્વની ઉજવણી કરી ખૂબ આનંદ થયો છે. આ ઉજવણીમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક અગ્રણીઓની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી. હાઈ-વોલ્ટેજ ડીજે સિસ્ટમ પર દેશભક્તિ અને ઉત્સવના ગીતોની રમઝટ બોલી હતી. યુવા કાર્યકરોમાં ધવલ પટેલ સાથે સેલ્ફી લેવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
તલોદમાં પોલીસ ચોકી બહાર બે કારમાં આગ:મધરાત્રે શોર્ટ સર્કિટથી આગ, ફાયર ટીમે બુઝાવી
સાબરકાંઠા જિલ્લાના તલોદમાં અંબાજી મંદિર ચોક પાસે આવેલા જૂના પોલીસ સ્ટેશન બહાર પાર્ક કરેલી બે કારમાં મધરાત્રે આગ લાગી હતી. પ્રાથમિક તપાસ મુજબ, શોર્ટ સર્કિટના કારણે એક કારમાં આગ લાગી હતી, જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની લપેટમાં બીજી કાર પણ આવી ગઈ હતી, જેના કારણે બંને કાર ભડભડ સળગી ઉઠી હતી. આ ઘટનામાં એક કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી, જ્યારે બીજી કારનો પાછળનો ભાગ બળી ગયો હતો. તલોદ ફાયર વિભાગને જાણ થતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી અને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી. ફાયર ટીમને પહોંચવામાં સમય લાગતા આગ એક કારમાંથી બીજી કારમાં પ્રસરી હતી. તલોદ પોલીસ સ્ટેશનના PI સી.જી. રાઠોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત રાત્રે 12 વાગ્યા બાદ અંબાજી મંદિર ચોકમાં જૂના પોલીસ સ્ટેશન બહાર એક ASIની કારમાં આગ લાગી હતી, જેની બાજુમાં અન્ય એક કાર પણ આગની ઝપેટમાં આવી હતી. આ અંગે તલોદ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રશાસક પ્રફુલ પટેલે હિંમતનગરમાં ધૂળેટીની ઉજવણી કરી:પરિવાર અને સ્થાનિક બાળકો સાથે રંગોત્સવ માણ્યો
પ્રશાસક પ્રફુલ પટેલે આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણી કરી. તેમણે પરિવારજનો અને સ્થાનિક બાળકો સાથે રંગોત્સવ માણ્યો હતો. પટેલે બાળકોને રંગોથી રંગી અને ચાંદલા કરીને પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિક નાગરિકો પણ પ્રશાસક સાથે હોળી રમવામાં જોડાયા હતા, જેનાથી તહેવારની ખુશીઓ વહેંચાઈ હતી. આ રંગોના ઉત્સવે સૌમાં ઉમંગ ભરી દીધો હતો.
ફાગોત્સવના ત્રિ દિવસીય પ્રર્વ શૃંખલામાં આજરોજ અંતિમ પર્વ કલરફુલ ફેસ્ટિવલ ધુળેટી ની ઉજવણી કરવામાં આવી હતી, રંગ ગુલાલની છોળો વચ્ચે એકબીજાને હેતથી કલર વડે રોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આજરોજ હિન્દૂ સંગઠન દ્વારા શહેરના આતાભાઇ ચોક ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશ રાજ્ય સાથે સાથે ભાવનગર શહેર જિલ્લામાં આજે આગળ માસના ત્રણ પર્વ એટલે કે ફાગ ફેસ્ટિવલ ના અંતિમ પર્વ ધુળેટી પર્વની આજરોજ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, બાળકો યુવાનો નો મનપસંદ પર્વ એટલે ધુળેટી પર્વ દર વર્ષે મન દુઃખ ભેદભાવ અને આપસી ખટરાગ ભૂલીને એકબીજાને કલર વડે રંગી રોળી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે, આપણે ત્યાં તમામ પ્રકારના તહેવારો એક અલગ પ્રકારના ઠાઠથી ઉજવવામાં આવે છે ત્યારે કલરફુલ ફેસ્ટિવલની ઉજવણી અંતર્ગત તૈયારીઓ દિવસો પૂર્વેથી શરૂ થઈ જાય છે, મોટાભાગે ગ્રુપમાં ઉજવાતા આ પર્વની ઉજવણી રમણીય નેચરલ સ્થળોએ જઈને ઉજવવાનો ક્રેઝ છેલ્લા કેટલાક સમયથી ટ્રેન્ડમાં આવ્યો છે, ભાવનગર જિલ્લામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલ ખાનગી રિસોર્ટ તથા ધાર્મિક સ્થળોએ લોકો પરિવાર સાથે પહોંચીને ધુળેટી પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે ધુળેટી ની પૂર્વ સંધ્યાએ બજારમાં કલર પિચકારી સહિતની ચીજ વસ્તુઓ ખરીદવા લોકોએ ભારે ભીડ જમાવી હતી. વહેલી સવારથી જ લોકો પોતપોતાના સગા સંબંધીઓ તથા મિત્રોના ગ્રુપ સાથે જુદા જુદા સ્થળોએ પહોંચી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી, આ સાથે જ ત્રિ- દિવસીય કલરફુલ ફેસ્ટિવલ નું સમાપન પણ થશે.
અમરેલી શહેરમાં ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં રાજ્યના ઉર્જા પ્રધાન કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિતના રાજકીય આગેવાનો નાગરિકો સાથે રંગે રમ્યા હતા. શહેરના ગણેશ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો અને તેમના પરિવારો જોડાયા હતા. ડીજે અને ઢોલના તાલે સૌએ એકબીજા પર રંગ ઉડાવી આનંદ વ્યક્ત કર્યો હતો. નાગરિકોએ મંત્રી કૌશિક વેકરિયાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મંત્રી કૌશિક વેકરિયાએ સૌને ધુળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ધુળેટીનો તહેવાર સૌએ પરિવાર સાથે ઉજવવો જોઈએ. તેમણે દરેકના જીવનમાં રંગોત્સવ બની રહે તેવી નાગનાથદાદાને પ્રાર્થના કરી હતી અને મતભેદ દૂર કરી ઉજવણી કરવા અપીલ કરી હતી. આ ઉજવણીમાં મંત્રી કૌશિક વેકરિયા ઉપરાંત સાંસદ ભરત સુતરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી તેમજ પક્ષના અન્ય હોદ્દેદારો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
હનીટ્રેપ કેસ, 23.75 લાખ રોકડ જપ્ત:ફરાર 2 મુખ્ય આરોપી ઝડપાયા, કુલ 95.50 લાખનો મુદ્દામાલ રિકવર
સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા હનીટ્રેપ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં અગાઉ એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમની પાસેથી 72 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જોકે, આ ઘટનાના મુખ્ય સૂત્રધાર અરબાઝ ખાન હયાત ખાન મલેક અને અમન ખાન મહેબૂબખાન મલેક (રહે. ઈંગરોડી) ફરાર હતા. સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આ બંને ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 23.75 લાખ રૂપિયા રોકડા, 40,000 રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન અને 5 લાખ રૂપિયાની બ્રેઝા ગાડી જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 95.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે. પ્રાથમિક તપાસ મુજબ, ભોગ બનનાર યુવકને તમંચાની અણીએ ધમકાવીને એક કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ ઘટના બાદ યુવકે ફરિયાદ નોંધાવવામાં ખચકાટ અનુભવ્યો હતો. પોલીસે યુવકને સમજાવીને તેની ગુપ્તતા જાળવવાની ખાતરી આપી હતી, ત્યારબાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે લોકોને અપીલ કરી છે કે, જો કોઈ વ્યક્તિ હનીટ્રેપ કે અન્ય ગંભીર ગુનાનો ભોગ બને તો અંગત રીતે પોલીસ અધિકારીઓને જાણ કરે. ભોગ બનનારની ગુપ્તતા જાળવી રાખીને તેમને ન્યાય અપાવવામાં આવશે.
વેરાવળમાં રોટરી ક્લબે પરિવાર સાથે ધૂળેટી ઉજવી:યુવાનોમાં ઉત્સાહ, કુદરતી રંગોનો ઉપયોગ કરવા અપીલ
ગીર સોમનાથ જિલ્લામાં ધૂળેટી પર્વની શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ રંગોની રમઝટ જોવા મળી હતી. બાળકો પિચકારી અને રંગો સાથે ગલીઓમાં ઉમટી પડ્યા હતા, જ્યારે યુવાનો ડીજેના તાલે રંગોત્સવનો આનંદ માણતા જોવા મળ્યા. વેરાવળ શહેરમાં રોટરી ક્લબ ઓફ વેરાવળ દ્વારા પરિવાર સાથે ખાસ ધૂળેટી મહોત્સવનું આયોજન કરાયું હતું. ક્લબના સભ્યો અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પરસ્પર શુભેચ્છાઓ સાથે થઈ, ત્યારબાદ સૌએ અબીલ-ગુલાલથી રંગોત્સવની મજા માણી. આ ઉજવણીમાં પરિવાર અને મિત્રતાના બંધનોને મજબૂત બનાવવાનો સંદેશ પણ હતો. બાળકો માટે રમૂજી સ્પર્ધાઓ, સંગીત અને નૃત્યની વ્યવસ્થા કરવામાં આવી હતી. મહિલાઓએ પણ પરંપરાગત વસ્ત્રોમાં સજીધજીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે પર્યાવરણને અનુકૂળ કુદરતી રંગોના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તહેવારની ઉજવણી આનંદમય રહે તે સાથે સુરક્ષિત અને સ્વસ્થ રહે તે માટે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને કેમિકલ રહિત રંગો વાપરવા અપીલ કરાઈ હતી. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ લોકોએ ભાઈચારા અને એકતાના ભાવ સાથે ધૂળેટીની ઉજવણી કરી. ઘરોમાં મીઠાઈઓ વહેંચવામાં આવી અને શુભેચ્છાઓની આપ-લે થઈ, જેનાથી સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું.
ગાંધીનગરના પેથાપુર પોલીસ મથકની હદમાં આવતા ટીંટોડા ગામના એક દંપતીને સંતાન પ્રાપ્તિની ઘેલછામાં અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી 20.62 લાખ રૂપિયા પડાવી લેવાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર મામલે પત્નીના જ સગા કાકા અને અન્ય એક ભુવા સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભૂવાએ સંતાન પ્રાપ્તીની લાલચ આપી ને ફસાયાગાંધીનગરના ટીંટોડા ગામમાં રહેતા 25 વર્ષીય યુવાનના લગ્ન આજથી પાંચેક વર્ષ અગાઉ કોલવડાની યુવતી સાથે સમાજના રીત રીવાજ મુજબ થયા હતાં. લગ્ન બાદ બંન્ને પતિ પત્ની ટીંટોડા ખાતે રહેતા હતાં. જોકે લગ્ન જીવનમાં સંતાન સુખ પ્રાપ્ત નહીં થતા દંપતીએ ઘણા ડોક્ટરોની દવા કરાવી હતી. તેમ છતા પરણિતાને પ્રેગ્નેન્સી રહેતી ન હતી. આથી તેણીના કાકા આનંદજી ધુળાજી ઠાકોર (રહે, ઢોલાવાળો વાસ કોલવડા ) ભુવો હોવાથી પતિ પત્ની તેના ઘરે એકાદ વર્ષથી માતાજીના દર્શન કરવાં જતું હતું. આ બાબતનો ફાયદો ઉઠાવી કાકાજી સસરા સંતાન પ્રાપ્તીની લાલચ આપી હિંમતનગરના જેતોલ ગામના ભુવા ગેમરભાઈ રબારીનો સંપર્ક કરાવ્યો હતો. એ વખતે ગેમર ભુવાએ બાધા આપી સો ટકા સંતાન પ્રાપ્ત થવાની બાંહેધરી આપી હતી. ડબ્બામાં ચોખા મુકી તેમાં દાગીના લઈ આવવાનું દંપતીને કહ્યુંબાદમાં દંપતી દર રવિવારે સંતાન સુખની આશાએ ગેમર ભુવાને ત્યાં મંદિરે દર્શન કરવા જતા હતાં. તો ભુવો ગેમર દંપતીના ઘરે અવરનવાર પધરામણી કરવા જતો ત્યારે દંપતી પધરામણી પેટે રોકડા રૂ. 10થી 15 હજાર આપતા હતાં. ત્યારે એક દિવસ કાકા સસરા આનંદ ઠાકોરે ગેમરભુવાના કહેવા મુજબ ઘરમાં નડતર હોવાથી વિધિ કરાવાનું કહી એક ડબ્બામાં ચોખા મુકી તેમાં દાગીના લઈ આવવાનું કહ્યું હતું. અંદાજે એક વર્ષ આસપાસ અનેકવાર વિધિઓ કરાવીએટલે કાકા સસરાની વાતમાં આવી દંપતીએ ઘરેથી પ્રથમ વખતે એક ડબ્બામાં ચોખા મુકી તેમા ચાંદીના કલ્લા તથા ચાંદીની કાંબીઓ વિધિ માટે આપી દીધી હતી. આમ સંતાનની લાલચમાં આવીને દંપતીએ ગત જાન્યુઆરી 2025થી સપ્ટેમ્બર 2025 દરમિયાન અનેકવાર વિધિઓ કરાવી હતી. 6 લાખ રોકડા અને 14.62 લાખના સોના ચાંદીના દાગીના પડાવ્યાઆ દરમિયાન બંને ભુવાઓ ઘરે જઈને વિધિના બહાને દંપતીની આંખો બંધ કરાવી દેતા હતા. ત્યારબાદ સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ ચોખા ભરેલા ડબ્બામાં મુકાવી તેના પર રૂમાલ બાંધી ઘરના માળિયા પર મુકાવી દેતા હતાં. ભુવાઓએ એવી ગર્ભિત સૂચના આપી હતી કે જ્યાં સુધી માતાજી રજા ન આપે ત્યાં સુધી આ ડબ્બા ખોલવા નહીં. જેથી અલગ અલગ દિવસોએ વિધિના બહાને કુલ 14.62 લાખના સોના ચાંદીના દાગીના તેમજ છ લાખ રોકડા મળીને કુલ રૂ.20.62 લાખની મત્તા ડબ્બાઓમાં માળિયે મૂકી દીધી હતી. ઘરેથી ભાગી જતા દંપતીને શંકા ગઈ ને ભાંડો ફૂટ્યોજોકે સમય જતાં જ્યારે આનંદજી ઠાકોરે અન્ય લોકો સાથે છેતરપિંડી કરી હોવાની વાત વહેતી થઈ અને તે ઘરેથી ભાગી જતા દંપતીને શંકા ગઈ હતી. ત્યારે બધા ડબ્બા ખોલી જોતા તેમા મુકેલા દાગીના અને રોકડા ગાયબ હતાં. અને દર દાગીનાની જગ્યાએ ચોખા તથા પથ્થરો જ મળી આવ્યા હતાં. 20.62 લાખનું ફુલેકું ફેરવીને ફરારઆમ ભુવાઓએ વિધિના બહાને 6 લાખ રૂપિયા રોકડા, 9 લાખની કિંમતના 6.5 તોલા સોનાના દાગીના અને 5.62 લાખની કિંમતના 2 કિલો 80 ગ્રામ ચાંદીના દાગીના મળી કુલ 20.62 લાખનું ફુલેકું ફેરવવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે એક અલૌકિક અને દિવ્ય વાતાવરણ સર્જાવા જઈ રહ્યું છે. SMVS સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના 93માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ભવ્ય મહોત્સવ સાબરમતીના કાંઠે એક આધ્યાત્મિક મહામેળાનું સ્વરૂપ ધારણ કર્યું, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. 50,000થી વધુ શ્રદ્ધાળુઓનું મહાસંમેલનઆજે સાંજે 4.30 થી 8.30 વાગ્યા દરમિયાન યોજાનાર આ મહોત્સવમાં માત્ર ગુજરાત કે ભારત જ નહીં, પરંતુ વિદેશોમાંથી પણ હરિભક્તો ખાસ ઉપસ્થિત રહેશે. અંદાજે 50,000થી વધુ હરિભક્તોની જનમેદની વચ્ચે ગુરુદેવ બાપજીના જીવન અને કાર્યોની સ્મૃતિ કરવામાં આવશે. રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલ વિશાળ પરિસરને દિવ્યતા અને ભવ્યતા સાથે શણગારવામાં આવ્યું છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સત્ય સંકલ્પ દાસજીસ્વામી અને મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમહોત્સવની ગરિમા વધારવા માટે SMVSના વર્તમાન ગુરુજી સત્ય સંકલ્પ દાસજીસ્વામી આશીર્વચન પાઠવશે. તેમના દિવ્ય દર્શનનો લાભ લેવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, રાજ્યના મુખ્યમંત્રી પણ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહીને ગુરુદેવ બાપજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરશે. રાજકીય અને સામાજિક અગ્રણીઓની હાજરી આ ઉત્સવને વધુ પ્રતિષ્ઠિત બનાવશે. 'એક આદર્શ શિલ્પી' થીમ પર સાંસ્કૃતિક પ્રસ્તુતિઆજના આ વિશેષ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ તેની થીમ છે. સાબરમતીના કાંઠે એક આદર્શ શિલ્પી થીમ પર આધારિત વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. ગુરુદેવ બાપજીએ જે રીતે સમાજ અને યુવાધનને આધ્યાત્મિક માર્ગે વાળીને એક આદર્શ ચરિત્રનું ઘડતર કર્યું છે, તેની ઝાંખી આ થીમ દ્વારા કરાવવામાં આવશે. પ્રાગટ્ય મહોત્સવમાં ભજન, ધૂન અને પ્રેરક પ્રવચનો દ્વારા ભક્તિમય માહોલ ઊભો કરવામાં આવશે. તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાછેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી તડામાર તૈયારીઓ હવે પૂર્ણ થઈ છે. રિવરફ્રન્ટના વિશાળ મેદાનમાં બેઠક વ્યવસ્થા, પાર્કિંગ અને ભક્તો માટેની પાયાની સુવિધાઓનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. સ્વયંસેવકોની મોટી ટીમ વ્યવસ્થા જાળવવા માટે તૈનાત છે. સાબરમતીના શાંત વહેણ સાથે ગુંજતો ભક્તિનાદ અમદાવાદવાસીઓ માટે એક યાદગાર સંભારણું બની રહેશે. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના પ્રાગટ્યદિન નિમિત્તે SMVS ના ભક્તો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું
સુરત શહેરમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આગ લાગવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ગત મોડી રાત્રે શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલી એક રેસિડન્સીમાં આવેલા બંગલામાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર વિભાગની સતર્કતાને કારણે એક મોટી હોનારત ટળી હતી અને બંગલામાં ફસાયેલા તમામ સભ્યોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. આગે વિકરાળ સ્વરૂપ લેતાં કાર અને 6 બાઇક બળીને ખાખમળતી માહિતી મુજબ, મોટા વરાછા સ્થિત ભક્તિનંદન રેસિડન્સીમાં આવેલા એક ગ્રાઉન્ડ પ્લસ બે માળના બંગલામાં રાત્રિના આશરે 2:35 વાગ્યે અચાનક આગ લાગી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર શોર્ટ સર્કિટના કારણે આગની શરૂઆત થઈ હતી. જેને લઈને પાર્કિંગમાં રહેલી એક કાર, છ બાઈક અને બે સાયકલ આગની ચપેટમાં આવી ગઈ હતી. પરિવાર અંદર ફસાયો ને ફાયર ટીમ દોડી આવીજ્યારે આખું શહેર નિદ્રાધીન હતું, ત્યારે અચાનક લાગેલી આગને કારણે પરિવારના સભ્યો ગભરાઈ ગયા હતા અને મકાનમાં જ ફસાઈ ગયા હતા. આગ અંગેનો કોલ મળતાની સાથે જ સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જાણ થતા ડેપ્યુટી ફાયર ઓફિસર પ્રકાશ હેડાઉ, સબ ફાયર ઓફિસર સિધ્ધાર્થ ગઢવી સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા. 96 વર્ષના વૃદ્ધ, ત્રણ બાળકો સહિત 7નું રેસ્ક્યુપાર્કિંગમાં આગ લાગી હતી ત્યાં રહેલા બેડરૂમમાં ત્રણ બાળકો સુતા હતાં, તેમને પાછળના ભાગેથી સૌ પ્રથમ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ પહેલા માળે 96 વર્ષના વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમની સાથે રહેલા અન્ય બે વ્યક્તિને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે બીજા ફ્લોર પર એક વ્યક્તિ ફસાયો તો તેને પણ પાછળના ભાગે છે લેડર દ્વારા નીચે ઉતારવામાં આવ્યો હતો. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સૌથી પડકારજનક કામ બંગલામાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું હતું. ફાયરની ટીમે મકાનમાંથી કુલ 7 વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢ્યા હતા. રેસ્ક્યુ કરવામાં આવેલા લોકોમાં 4 પુરુષ અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે, જેમાં એક 96 વર્ષના વૃદ્ધ પણ હતા. સમયસર મળેલી મદદને કારણે સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજા થઈ નથી. ઉનાળામાં વધતા આગના બનાવોસુરતમાં ઉનાળાની શરૂઆતની સાથે જ ફાયરના કોલ્સમાં સતત વધારો થઈ રહ્યો છે. શોર્ટ સર્કિટ અથવા અન્ય કારણોસર લાગતી આગને રોકવા માટે તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત રાખવા અપીલ કરવામાં આવી છે.
ભાવનગર ઘોઘા પોલીસે પડવા ગામની નવી પ્રાથમિક શાળા પાસે દરોડો પાડી જાહેરમાં હારજીતનો જુગાર રમતા 5 શખ્સોને ગંજીપતા અને રોકડ સહીત 22,750ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. તમામ વિરુદ્ધ ઘોઘા પોલીસ મથકમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક સ્કૂલ પાસે જુગાર રમતા 5 શખ્સો ઝડપાયામળતી માહિતી અનુસાર, ઘોઘા પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી કે, પડવા ગામ નવી પ્રાથમિક શાળા પાસે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેર જગ્યામા કેટલીક વ્યક્તિઓ જાહેરમાં ગંજીપત્તાના પાના વડે હાર-જીતનો જુગાર રમે છે. આ પાંચને પોલીસે દબોચ્યાજે પોલીસને મળેલી બાતમી આધારે સ્થળ પર રેઇડ કરી અને તપાસ દરમ્યાન ઘુઘા એભલભાઈ દેસાઈ રહે. ખડસલીયા ગામ, મુકેશ પોપટભાઈ ડાભી રહે.ખડસલીયા ગામ, અશોક ઉર્ફે મુન્નો પાચાભાઈ ડાભી રહે.પડવા ગામ, અરવિંદસિંહ વિક્રમસિંહ ગોહિલ રહે. કરેડા ગામ, લખમણ જીવણભાઈ બારૈયા રહે. કરેડાગામ ના રહેવાસીઓ ઝડપી પાડ્યા છે. ગુનો નોંધાયોગંજીપતા અને રોકડ કુલ 22,750નો મુદામાલ પોલિસે કબ્જે કરી અને શખ્સો વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
રંગોના પર્વ ધુળેટીની રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને પૂર્વ મંત્રી હકુભા જાડેજાએ આ વર્ષે પણ પોતાની પરંપરા જાળવી રાખી હતી. તેમણે જામનગરની સુપ્રસિદ્ધ આણદાબાવા સેવા સંસ્થા ખાતે આશ્રિત બાળકો, મૂક-બધિર વિદ્યાર્થીઓ અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે ધુળેટીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય અકબરી અને પૂર્વ મંત્રી જાડેજાએ સંસ્થામાં અભ્યાસ કરતા મૂક-બધિર અને અન્ય દિવ્યાંગ બાળકો સાથે રંગો રમ્યા હતા. તેમણે વૃદ્ધાશ્રમના વડીલોને ગુલાલનો તિલક કરીને ધુળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી. આશ્રિત દીકરીઓ અને બાળકોમાં તહેવારને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેને પગલે મહાનુભાવોએ બાળકોને પોતાના હાથે નાસ્તો કરાવી મોઢું મીઠું કરાવ્યું હતું. ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જણાવ્યું હતું કે, અનાથ અને દિવ્યાંગ બાળકોના ચહેરા પરનું સ્મિત એ જ સાચી હોળી છે. પૂર્વ મંત્રી હકુભા જાડેજા અને દિવ્યેશ અકબરીએ બાળકોને રંગોથી રંગીને વાતાવરણને જીવંત બનાવ્યું હતું. સંસ્થાના બાળકોએ પણ તેમની હાજરીથી પ્રોત્સાહિત થઈને ધુળેટીના ગીતો અને રંગોની મજા માણી હતી. આ ઉજવણી દ્વારા વંચિતોના જીવનમાં ખુશીઓ ભરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તહેવારોની સાચી સાર્થકતા આવા સંવેદનશીલ અભિગમમાં રહેલી છે, જે જામનગરના નગરજનો માટે પ્રેરણારૂપ બન્યો છે.
તરણેતર ગામમાં ગેરકાયદે ખનન ઝડપાયું:નાયબ કલેક્ટરની ટીમે ₹1.97 કરોડના વાહનો જપ્ત કર્યા
થાનગઢ તાલુકાના તરણેતર ગામમાં સરકારી જમીન પર ગેરકાયદે ખનનનો પર્દાફાશ થયો છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની ટીમે વહેલી સવારે દરોડો પાડી સેન્ડસ્ટોન અને સફેદ માટીનું ખનન કરતા વાહનો જપ્ત કર્યા હતા. સરકારી સર્વે નંબર 592 પરથી એક હિટાચી મશીન, ત્રણ ડમ્પર (GJ 03 BV 7947, GJ 13 TA 0727, GJ 13 AW 3396) અને એક ટ્રેક્ટર (GJ 13 AR 8463) જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹1.97 કરોડ આંકવામાં આવી છે, જેને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે. આ મામલે વેરશીભાઈ લાલજીભાઈ સારદીયા (તરણેતર), લગધીરભાઈ ભીમશીભાઈ લલોતરા (ડોળીયા), હેમુભાઈ જીવરાજભાઈ ખમાણી (તરણેતર) અને કાળુભાઈ હેમુભાઈ ખમાણી (તરણેતર) સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમની સામે ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, 2017) તેમજ લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર હેઠળ કાર્યવાહી કરાશે. આ ઉપરાંત, તરણેતર ગામના તલાટી-કમ-મંત્રી અને સરપંચ સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મોડાસાની માણેકબા સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ગયા શનિવાર અને રવિવારની મધ્યરાત્રિ દરમિયાન અજાણ્યા ચોર ઈસમોએ બે બંધ મકાનોને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 4 લાખ 18 હજારની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા છે. ઝોમેટો ડિલિવરી બોયના બંધ મકાનમાં ચોરી ફરિયાદી કૃષ્ણકાંત મોહનલાલ પંડ્યા, જેઓ ઝોમેટોમાં ફૂડ ડિલિવરીનું કામ કરે છે. તેઓ 28મી ફેબ્રુઆરીએ પરિવાર સાથે અમદાવાદ પોતાના સાસરે ગયા હતા. રવિવારે બપોરે તેમના પાડોશીએ ફોન મારફત જાણ કરી કે તેમના ઘરના દરવાજા ખુલ્લા છે. કૃષ્ણકાંતભાઈએ ઘરે આવીને તપાસ કરતા જાણવા મળ્યું કે તસ્કરોએ ઘરનું તાળું તોડી, તિજોરી ફંફોસીને નીચે મુજબની મત્તાની ચોરી કરી-સોનાના દાગીના: વીંટી, પેન્ડલ, ચુની અને બુટ્ટી મળી અંદાજે 1.45 લાખની કિંમત.ચાંદીના દાગીના: છડા, કંદોરો, ચેઈન અને લક્કી મળી અંદાજે 88 હજારની કિંમત.રોકડ રકમ: રૂપિયા 30 હજાર રોકડા.કુલ મળીને તેમના ઘરેથી રૂપિયા 2 લાખ 63 હજારની ચોરી થઈ. પાડોશીના ઘરે પણ હાથફેરો તસ્કરોએ માત્ર કૃષ્ણકાંતભાઈના જ નહીં, પરંતુ તેમની બાજુમાં રહેતા વિજયભાઈ રાજુભાઈ ખાંટના બંધ મકાનને પણ નિશાન બનાવ્યું હતું. વિજયભાઈના ઘરેથી સોનાની બુટ્ટી, ચાંદીના કડલા અને 55 હજારની રોકડ રકમ મળી કુલ રૂપિયા 1 લાખ 55 હજારની મત્તાની ચોરી થઈ છે. ₹4.18 લાખની ચોરી અંગે ફરિયાદ દાખલ મોડાસા ટાઉન પોલીસે આ મામલે બી.એન.એસ. (BNS)ની કલમ 331(3), 331(4) અને 305 હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ વિશ્રામભાઈએ ફરિયાદ નોંધી છે અને પોલીસ ઇન્સ્પેક્ટર ભૂપેન્દ્રસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ અજાણ્યા તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ભરૂચ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા ગેરકાયદેસર દેહવ્યાપારનો પર્દાફાશ થયો છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા દરોડા પાડી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ યુવતીઓને મુક્ત કરાઈ હતી. AHTUના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જી. ગોહિલના માર્ગદર્શન હેઠળ ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. સ્ટેશન રોડ પર સુપર માર્કેટ પાછળ આવેલા આંબેડકર શોપિંગ સેન્ટરના પ્રથમ માળે આવેલા પીપી થાઇ સ્પા પર દરોડો પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક ચકાસણી માટે ડમી ગ્રાહક મોકલવામાં આવ્યો હતો, જેમાં મસાજની આડમાં દેહવ્યાપાર ચાલતો હોવાનું સામે આવ્યું હતું. દરોડા દરમિયાન સ્પાના મેનેજર તનવીર મનાન શેખ (ઉં.વ.23, રહે. નંદેલાવ, ભરૂચ) અને સમીર અહમદ ફઝલુર રહેમાન (ઉં.વ.18, રહે. ભરૂચ) ને સ્થળ પરથી ઝડપી લેવાયા હતા. આ ઉપરાંત, સ્પાના માલિક અફરોઝ મનાન શેખ, સીમા ઉર્ફે શના કામરાન શેખ અને દુકાન માલિક સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ 1956ની કલમ 3, 4, 5, 7 તેમજ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૫૪ હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ છે. પોલીસે દરોડા દરમિયાન 73,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મુક્ત કરાયેલી ત્રણેય યુવતીઓને કાયદેસરની પ્રક્રિયા માટે સુરક્ષિત રીતે સોંપવામાં આવી છે. પોલીસ તંત્રએ જણાવ્યું હતું કે શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.
મિડલ ઈસ્ટમાં વણસેલી યુદ્ધની સ્થિતિમાં ભયના ઓથાર વચ્ચે ફસાયેલા 210 ગુજરાતીઓ હેમખેમ સ્વદેશ પરત ફરતા તેમના પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે. આ વતન વાપસી દરમિયાન એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર સ્વજનો સાથે મિલન થતા અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં. 210 મુસાફરો પૈકી 205 લોકો વિશેષ પ્લેન દ્વારા જેદાહ, સાઉદી અરેબિયાથી સીધા અમદાવાદ ઉતર્યા હતાં, જ્યારે અન્ય 5 લોકો દુબઈથી રિલીફ ફ્લાઈટ મારફતે મુંબઈ પહોંચ્યા બાદ ટ્રેન દ્વારા સુરત પરત ફર્યા હતાં. મહિનાઓ સુધી અસુરક્ષિત માહોલમાં રહ્યા બાદ પોતાના વતનની સુરક્ષિત ધરતી પર પગ મૂકતા જ અનેક લોકોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતાં. સુરતના 5 પ્રવાસીઓ હેમખેમ વતન પરત ફરતા પરિવારોમાં ખુશીની લહેર ઈરાન-ઇઝરાયલ વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતિને પગલે વિદેશમાં ફસાયેલા ભારતીયોમાં ચિંતાનો માહોલ હતો, ત્યારે સુરતીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દુબઈમાં ફસાયેલા સુરતના 20 પ્રવાસીઓ પૈકી 5 પ્રવાસીઓ હેમખેમ વતન પરત ફરતા પરિવારોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. સાઉદી અરેબિયાથી 205 લોકો અમદાવાદ પરત ફર્યાઅમદાવાદમાં ગઈકાલે 3 માર્ચે રાતે 11:15 કલાક બાદ યુદ્ધ ગ્રસ્ત મિડલ ઈસ્ટમાંથી 205 જેટલા ભારતીયોને લઈને વિશેષ પ્લેન પરત ફર્યું હતું. ધાર્મિક યાત્રાએ ગયેલા આ યાત્રાળુઓને તેમના ટૂર ઓપરેટર અને સોશિયલ મીડિયા થકી ફલાઇટની ખબર પડી હતી. જેદાહ, સાઉદી અરેબિયાથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઉતરેલા યાત્રાળુએ જણાવ્યું હતું કે યુદ્ધને લઈને તેઓ ચોક્કસ તણાવમાં હતા. કારણ કે ફ્લાઈટો બંધ થઈ ચૂકી હતી. હોટલના ભાડા વધી ચૂક્યા હતા અને તેમના રહેવા જમવાના પૈસા પણ ખુટવા આવ્યા હતા. એકબીજાને ભેટતા આંખમાંથી આંસુ છલકાયા તેઓએ સીધો જ કોઈ યુદ્ધનો હુમલો થયેલો જોવાનો ઇન્કાર કર્યો હતો. સ્વદેશમાં ઉતરતાની સાથે તેમના પરિવારો તેમના મોટા પાયે સ્વાગત માટે ઉભા હતાં. ફુલહારથી તેમનું સ્વાગત કરાયું હતું. તેમજ માતા પિતા અને બાળકો એકબીજાને ભેટતા આંખમાંથી આંસુ છલકાયા હતા. પોતાના સ્વજનો હેમખેમ સ્વદેશ આવતા યાત્રાળુ તેમ જ તેમના સ્વજનોએ ભારત સરકાર, સ્થાનિક ધારાસભ્ય, હજ કમિટી વગેરેનો આભાર માન્યો હતો. સરકાર અને એરલાઇન્સના સંકલનથી 'રિલીફ ફ્લાઈટ'ની વ્યવસ્થાઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે વિમાની સેવાઓ પર મોટી અસર પડી છે. આ સ્થિતિમાં સુરતના 20 જેટલા પ્રવાસીઓ દુબઈમાં ફસાઈ ગયા હતા. સતત વધતા જતા ભય અને અનિશ્ચિતતા વચ્ચે ભારત સરકાર અને એરલાઇન્સના સંકલનથી 'રિલીફ ફ્લાઈટ'ની વ્યવસ્થા કરવામાં આવી હતી. 5 પ્રવાસીઓ દુબઈથી મુંબઈ અને પછી સુરત આવ્યાંદુબઈમાં ફસાયેલા 20 પ્રવાસીઓમાંથી 5 પ્રવાસીઓ પ્રથમ તબક્કે સ્પેશિયલ રિલીફ ફ્લાઈટ મારફતે મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા હતા. ત્યાંથી તેઓ ટ્રેન દ્વારા સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. વતન પરત ફરતા જ આ પ્રવાસીઓના ચહેરા પર રાહતનો શ્વાસ જોવા મળ્યો હતો. સુરત સ્ટેશન પર જ્યારે પ્રવાસીઓ ઉતર્યા ત્યારે વાતાવરણ ભાવુક બની ગયું હતું. લાંબા સમયની ચિંતા બાદ પોતાના સ્વજનોને નજર સામે જોતા જ પરિવારોના આંખમાં હરખના આંસુ છલકાયા હતા. એકબીજાને ગુલાલ લગાવીને હોળીની ઉજવણી કરીપરિવારો દ્વારા તમામ પ્રવાસીઓનું ફૂલહાર અને બુકે આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે હોળી-ધૂળેટીનો પર્વ હોવાથી, પરત ફરેલા પ્રવાસીઓએ પરિવાર સાથે એકબીજાને ગુલાલ લગાવીને તહેવારની ઉજવણી કરી હતી. યુદ્ધના ડરને ભૂલીને સૌ કોઈ રંગોના ઉત્સવમાં મગ્ન થયા હતા. હજુ પણ સુરતના 15 જેટલા પ્રવાસીઓ પરત આવવાની રાહ જોઈ રહ્યા છે, જેમને ટૂંક સમયમાં પરત લાવવા માટેના પ્રયાસો ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. 'હા, આવું પહેલીવાર અનુભવ્યું એટલે મનમાં થોડો ડર ચોક્કસ હતો'દુબઈથી સુરત પરત ફરેલા અમર જરીવાલાએ જણાવ્યું હતું કે, દુબઈમાં ખાવા-પીવાની અને રહેવાની બધી જ સગવડો વ્યવસ્થિત હતી. દુબઈ ગવર્મેન્ટે સારી વ્યવસ્થા કરી હતી. પણ જ્યારે ફ્લાઈટ્સ બંધ હતી, ત્યારે ઘરના લોકો ચિંતામાં હતા અને અમને પણ થોડું ટેન્શન હતું. પણ ધીરે ધીરે ફ્લાઈટ્સ શરૂ થઈ અને અમે સુરત પાછા આવી રહ્યા છીએ. દુબઈમાં ડ્રોન હુમલાની વાત સાચી છે. પણ તેમને આકાશમાં જ નષ્ટ કરી દેવામાં આવતા હતા. દુબઈ સરકાર સક્ષમ છે એટલે ત્યાં કોઈ અફરાતફરી જેવો માહોલ નહોતો. પણ હા, આવું પહેલીવાર અનુભવ્યું એટલે મનમાં થોડો ડર ચોક્કસ હતો. 'હજુ પણ 50થી 60 હજાર લોકો અટવાયેલા છે'તેને વધુમાં કહ્યું કે, ફ્લાઈટ્સ એક દિવસ પહેલા જ શરૂ થઈ છે. ત્યાં હજુ પણ 50થી 60 હજાર લોકો અટવાયેલા છે. પહેલા દિવસે ટિકિટ ન મળી પણ બીજા દિવસે ટિકિટ મળી ગઈ. આમાં 'અરાઈઝ'ના કેવનભાઈએ અમને સતત મદદ કરી અને ગાઈડ કર્યા. છેવટે અમે દુબઈથી સીધા સુરત આવ્યા છીએ. અમે લગભગ 15થી 20 જણા સાથે આવ્યા છીએ અને બીજા મિત્રો પણ આજ રાતની ફ્લાઈટમાં પરત આવવાના છે. પરિવારમાં ખુશીનો માહોલ છે. જ્યારે તમે પરિવાર સાથે હોવ ત્યારે બધો ડર નીકળી જાય છે. પરિવાર એ પરિવાર જ હોય છે. હવે ઘરે જઈને પરિવાર સાથે રંગોથી ધુળેટી રમીશું અને ઠંડાઈ પીને તહેવારની મજા માણીશું. અમારા બધા માણસો ઘરે સહી-સલામત આવી ગયાડિમ્પલ અમર જરીવાલાએ જણાવ્યું હતું કે, એ ત્યાં દુબઈ ગયા હતા. હમણાં પણ ઘણી ચિંતા હતી કે આ બધું થઈ રહેલું છે, તો અમારા માણસો કેવી રીતે ઘરે આવશે? પણ થેન્ક્સ ટુ કૈવાનભાઈ અને એમની ‘અરાઈઝ ટુર્સ એન્ડ કંપની’ કે જે એમને બહુ મહેનત કરી બધી રીતે ટિકિટ અરેન્જ કરવામાં અને બધી રીતે બહુ હેલ્પ કરી, તેથી અમારા બધા માણસો ઘરે સહી-સલામત આવી ગયા છે. અને થેન્ક્સ ટુ UAE કે એટલો સપોર્ટ કર્યો કે ઈન્ડિયા આવી જાય અમારા હસબન્ડ. હવે અત્યારે બહુ ખુશીનો માહોલ છે અમારા માટે કે આવી જગ્યા પરથી આવ્યા છે, તો ખુશ જ છીએ અમે. દુબઈથી મુંબઈ બેંગલોર ચેન્નઈ અને દિલ્હીની ચાર ફલાઇટઅત્રે ઉલ્લેખનીય છે કે, દુબઈથી હાલ સ્પેશિયલ ફ્લાઈટો દોડાવવામાં આવી રહી છે અને ભારતીયોને પરત આવવામાં મદદ કરવામાં આવી રહી છે. દુબઈથી મુંબઈ બેંગલોર ચેન્નઈ અને દિલ્હીની ચાર ફલાઇટ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં અમદાવાદની ફ્લાઈટ પણ શરૂ કરવામાં આવશે.
ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે વણસેલી યુદ્ધની પરિસ્થિતિની સીધી અસર હવે મોરબીના વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. સાઉદી અરેબિયાની પ્રતિષ્ઠિત અરામકો (Aramco) રિફાઇનરી પર થયેલા મિસાઈલ હુમલાને કારણે પ્રોપેન ગેસની સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેનાથી આગામી 2 થી 3 દિવસમાં મોરબીના સેંકડો કારખાનાઓના પૈડાં થંભી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ગણતરીના દિવસોમાં ગેસનો પુરવઠો ખૂટી જશે મોરબીના સિરામિક ઉદ્યોગમાં ઉત્પાદન માટે નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો મુખ્યત્વે ઉપયોગ થાય છે. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો: મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયાના જણાવ્યા અનુસાર, સાઉદીથી જહાજ (વેસલ) મારફતે પ્રોપેન ગેસ કંડલા બંદર આવે છે અને ત્યાંથી ટેન્કરો દ્વારા મોરબી પહોંચે છે. હાલમાં રિફાઇનરી બંધ થતા અને પરિવહન અટકતા, કારખાનાઓ પાસે માત્ર બે-ત્રણ દિવસ ચાલે તેટલો જ સ્ટોક બચ્યો છે. લાખો શ્રમિકો અને ઉદ્યોગકારો પર 'બેવડો માર' જો આ પરિસ્થિતિ લાંબી ચાલે અને કારખાના બંધ થાય, તો તેની ગંભીર અસરો નીચે મુજબ જોવા મળશે: આર્થિક નુકસાનનો અંદાજ સિરામિક ઉદ્યોગપતિ રાજનભાઈ પટેલના મતે, જો ગેસની શોર્ટ સપ્લાયને કારણે એક મહિનો કારખાના બંધ રહે, તો સરેરાશ એક ઉદ્યોગકારને 50 લાખથી 1 કરોડ રૂપિયા સુધીનું મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ અત્યારે ગંભીર આર્થિક સંકટના ઉંબરે ઉભો છે. જો આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ વિરામ ન થાય અથવા ગેસની વૈકલ્પિક વ્યવસ્થા ન થાય, તો ગુજરાતના અર્થતંત્રને મોટો ફટકો પડી શકે તેમ છે. આ પણ વાંચો, સિરામિક ઉદ્યોગને મહિને ₹50 લાખથી ₹1 કરોડનું નુકસાન, કારખાના બંધ થવાની શક્યતા આ પણ વાંચો, સિસિરામિક ઉદ્યોગ માટે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ, સિરામિક ઉદ્યોગ પાસે એક સપ્તાહ પૂરતો જથ્થો બચ્યો
હિંમતનગરમાં ગૌરપૂર્ણિમા મહામહોત્સવ યોજાયો:કૃષ્ણ-બલરામને ફળોના રસનો અભિષેક, 56 ભોગ અર્પણ કરાયા
હિંમતનગરના ખેડ તસીયા રોડ પર આવેલા રામનગરની આંગણવાડી પાસેના ઇન્દ્રનગર ગાર્ડનમાં ગઈકાલે રાત્રે ગૌરપૂર્ણિમા મહામહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. હિંમતનગર હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર જગન્નાથ ધામ દ્વારા આયોજિત આ મહોત્સવમાં ભક્તોએ કૃષ્ણ-બલરામ ભગવાનને ફળોના રસ અને પંચામૃતથી અભિષેક કર્યો હતો. ઇન્દ્રનગર ગાર્ડન ખાતે પ્રથમ વખત યોજાયેલો આ ગૌરપૂર્ણિમા મહામહોત્સવ ચૈતન્ય મહાપ્રભુના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે ભક્તો દ્વારા ભજન-કીર્તન અને આરતી કરવામાં આવી હતી. ભક્તોએ કૃષ્ણ-બલરામ ભગવાનને ગંગાજળથી અભિષેક કર્યા બાદ દૂધ, દહીં, મધ, ઘી સહિતના પંચામૃત અને વિવિધ ફળોના રસથી અભિષેક કર્યો હતો. પૂજન-અર્ચન બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને 56 ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પછી ગૌરલીલાકથાનું પણ આયોજન થયું હતું.
અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજુર ગામ પાસે બુટલેગર દ્વારા પોલીસ કર્મચારી ઉપર હુમલો કરવાની ગંભીર ઘટના બની હતી. 'તું અમારા ધંધાની બાતમી કેમ આપે છે?' કહી પોલીસ કર્મચારી ઉપર બુટલેગરે હુમલો કર્યો હતો. કાગડાપીઠ પોલીસ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ત્રણેય આરોપીઓને દોરડા વડે બાંધી પોલીસકર્મી પર હુમલો કરવા જેવી ઘટનાને લઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જોકે ત્રણેય આરોપીઓ પોલીસ પર હુમલો કરવાની ઘટના બાદ શાંતિથી ચાલતા ચાલતા તેમના દ્વારા કરાયેલા હુમલા અંગે રિકન્સ્ટ્રક્શનની માહિતી આપતા જોવા મળ્યા હતાં. કોન્સ્ટેબલ ઘરેથી જમીને નીકળ્યાને બૂટલેગરે રોક્યામળતી માહિતી અનુસાર, મજૂર ગામમાં બાલમુકુંદ સોસાયટીમાં રહેતા અને શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં જયવર્ધન પરમાર 2 માર્ચના રોજ તેઓ નોકરી ઉપર ગયા હતા અને બપોરે 2 વાગ્યે રિસેસના સમયમાં ઘરે જમવા માટે આવ્યા હતાં. ત્યારે બપોરે પોણા ત્રણ વાગ્યાની આજુબાજુ નોકરી પર પરત જવા માટે નીકળ્યા હતાં. ત્યારબાદ મજૂર ગામ એકતા નગરની ચાલી પાસેથી પસાર થતાં હતા ત્યારે એકતા નગરની ચાલીમાં રહેતો ભાવેશ રાઠોડે તેના ઉભા રાખ્યા હતાં. ત્રણેયે મળીને કોન્સ્ટેબલને લાકડી વડે મારમાર્યો'તું અમારા ધંધાની બાતમી કેમ આપે છે, તું જો હું મારા ભાઈ પેપ્સી રાઠોડ તથા મારો મિત્ર દિવ્યાંગને બોલાવી લાવું છું.' જેથી જયવર્ધને કહ્યું હતું કે, તારા ધંધા બાબતે મને કંઈ ખબર નથી મેં કોઈ બાતમી આપી નથી. જેથી ભાવેશે ઉસ્કેરાઈ અને ગંદી ગાળો આપી હતી. ગાળો ના બોલવા સમજાવતા ત્રણેય જણાએ ભેગા મળી કોન્સ્ટેબલને લાકડાના ડંડા વડે અને ગડદા પાટુનો માર માર્યો હતો. લોકોના ટોળા ભેગું થતાં ત્રણેય ફરાર થયા'તાથોડી જ વારમાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતાં. જેથી ત્રણેય ફરાર થઈ ગયા હતાં. ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલને સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્રણેય આરોપીઓની ધરપકડ બુટલેગર દ્વારા પોલીસ કર્મચારી પર હુમલો કરવાની ઘટના બાદ કાગડાપીઠ પોલીસ પોતાની નિષ્ક્રિયતાને ઉજાગર થતી બચાવવા માટે તાત્કાલિક ધોરણે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. વિદેશી દારૂની બોટલો નો ગુનો નોંધાયો ને બીજા દિવસે હુમલોઅમદાવાદના કે ડિવિઝન એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આરોપી પિયુષ ઉર્ફે પેપ્સી રાઠોડ વિરુદ્ધ અગાઉ છ જેટલા પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવેલા છે. મારામારીનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે ભાવેશ રાઠોડ વિરુદ્ધ પણ પ્રોહીબિશનનો ગુનો નોંધાયો છે. આ બાબતે હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આરોપી પિયુષ ઉર્ફે પેપ્સી રાઠોડ વિરુદ્ધ એક માર્ચના રોજ ચાર જેટલી વિદેશી દારૂની બોટલો રાખવા અંગેનો દારૂનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને બીજા જ દિવસે પોલીસ કર્મચારી ઉપર હુમલાની ઘટના બની હતી. કડક કાર્યવાહી કરી ઉદાહરણ બેસાડીશું - ACPપોલીસ કર્મચારી ઉપર બુટલેગર દ્વારા હુમલો કર્યા બાદ એસીપીએ કહ્યું હતું કે, પોલીસ કર્મચારી ઉપર કોઈ હાથ ઉગામે કે ઇજા પહોંચાડે નહીં એવું કડકમાં કડક કાર્યવાહી કરી ઉદાહરણ બેસાડીશું. જોકે પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો તેમાં 'તું અમારા ધંધાની બાતમી આપે છે' તેમાં ક્યાંય પણ દારૂના ધંધા અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. દોરડા વડે બાંધી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયુંકાગડાપીઠ પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી અને ત્યારબાદ રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. જેમાં ત્રણે આરોપીઓને પોલીસ દ્વારા દોરડા વડે બાંધી અને ઘટના સ્થળ ઉપર લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં આરોપીઓ દ્વારા શાંતિથી ચાલી અને જે ઘટના બની હતી તે અંગે જણાવવામાં આવ્યું હતું. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડીપોલીસ દ્વારા પોતાના જ પોલીસ કર્મચારી ઉપર હુમલો કરવાની ઘટના બાદ જાહેરમાં ત્રણે આરોપીઓને લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જોકે છેલ્લા કેટલાય સમયથી કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બહેરામપુરા મજૂર ગામ અને કાંકરિયા વિસ્તારમાં હત્યા મારામારી જેવા બનાવો બન્યા છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં નિષ્ફળતા જોવા મળી છે.
લૂંટેરી દુલ્હન ટોળકીનો સાગરિત ઝડપાયો:શંખેશ્વરના પ્રૌઢ સાથે રૂ. 1.50 લાખની છેતરપિંડી કેસમાં ધરપકડ
પાટણ પોલીસે શંખેશ્વરના એક પ્રૌઢ સાથે રૂ. 1.50 લાખની છેતરપિંડી કરવાના કેસમાં લૂંટેરી દુલ્હન ટોળકીના એક સાગરિતની ધરપકડ કરી છે. આરોપી હરેશભાઈ કરશનભાઈ ભરવાડ (રહે. રઢુ, તા. ખેડા) છેલ્લા ત્રણ મહિનાથી ફરાર હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, શંખેશ્વર ગામના 40 વર્ષીય યુવક સાથે ધોળકાના આંબેઠી ગામની રેખા તખાભાઈ ઠાકોરના લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ લગ્નના ખર્ચ પેટે યુવાન પાસેથી રૂ. 1.50 લાખની રકમ લેવામાં આવી હતી. લગ્નના એક મહિના બાદ રેખા બીમાર માસીને મળવાના બહાને ઘરેથી નીકળી ગયા હતા અને પરત ફર્યા ન હતા. આ ઘટના બાદ યુવકે લૂંટેરી દુલ્હન સહિત લગ્ન કરાવનારા પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ફરાર હરેશભાઈ ભરવાડને પાટણ બી-ડિવિઝન પોલીસના ડી-સ્ટાફે સિદ્ધપુર હાઈવે પર આવેલા એલ.પી. ભવન પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બોટાદ પોલીસ પરિવારે ધુળેટી પર્વની ઉજવણી કરી:જિલ્લા હેડક્વાર્ટર ખાતે અધિકારીઓ અને પરિવારો રંગે રમ્યા
બોટાદ જિલ્લા પોલીસ પરિવારે ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માની ઉપસ્થિતિમાં બોટાદ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે આ ઉજવણી કરવામાં આવી હતી. બોટાદ શહેરના ખસ રોડ પર આવેલા જિલ્લા પોલીસ વડાની કચેરી હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ પરિવાર એકત્રિત થયો હતો. આ ઉજવણીમાં એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિત જિલ્લાના પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારજનો જોડાયા હતા. પોલીસ પરિવારે ડીજેના તાલે ઝૂમીને એકબીજા પર રંગો ઉડાડ્યા હતા અને પિચકારીઓથી રંગોળી સર્જી હતી. આ રીતે પરંપરાગત ધુળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થાની જવાબદારી નિભાવતા પોલીસ કર્મચારીઓએ ફરજની સાથે પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી હતી.
અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વણસેલી સ્થિતિને કારણે સમગ્ર મિડલ ઈસ્ટ અત્યારે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું છે. આ ભયાનક સ્થિતિની સીધી અસર લાખો ભારતીયો પર પડી છે, જેમાં ખાસ કરીને ગુજરાત અને સુરતના અનેક લોકો ત્યાં અટવાયા છે. સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા વિદેશ મંત્રાલયમાં કરવામાં આવેલી રજૂઆત બાદ હવે ભારત સરકાર એક્શન મોડમાં આવી છે અને ફસાયેલા લોકોની વહારે આવી છે. યુદ્ધના ભરડામાં મિડલ ઈસ્ટ, ગુજરાતીઓના જીવ અધ્ધરઈરાન અને ઈઝરાયેલ વચ્ચે શરૂ થયેલા સશસ્ત્ર સંઘર્ષે ખાડી દેશોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. દુબઈ અને જ્યોર્જિયા જેવા દેશોમાં વ્યવસાય અને નોકરી અર્થે ગયેલા હજારો ગુજરાતીઓ અત્યારે સુરક્ષિત આશરા માટે ફાંફા મારી રહ્યા છે. બોમ્બમારો અને એરસ્પેસ બંધ થવાની ઘટનાઓ વચ્ચે સુરત અને દક્ષિણ ગુજરાતના પરિવારો અહીં ચિંતામાં ડૂબ્યા છે. અનેક લોકોએ સોશિયલ મીડિયા અને ફોન દ્વારા સુરતના પ્રતિનિધિઓ પાસે મદદની ગુહાર લગાવી હતી. સાંસદ મુકેશ દલાલનો વિદેશ મંત્રી એસ. જયશંકરને પત્રસુરત અને ગુજરાતના લોકોની ગંભીર સ્થિતિને જોતા સાંસદ મુકેશ દલાલે તાત્કાલિક અસરથી વિદેશ મંત્રી એસ. જયશંકરનો સંપર્ક સાધ્યો હતો. તેમણે ઈમેલ દ્વારા લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે, સુરત અને ગુજરાતના અનેક નાગરિકો હાલ દુબઈ અને જ્યોર્જિયામાં ફસાયેલા છે. આ લોકો પોતાની સલામતીને લઈને ખૂબ જ ચિંતિત છે. મુકેશ દલાલે ભારત સરકારને આ બાબતમાં તાકીદે હસ્તક્ષેપ કરવા અને ત્યાંની એમ્બેસીને સક્રિય કરવા વિનંતી કરી હતી. દુબઈ કોન્સ્યુલેટ જનરલનો હકારાત્મક પ્રતિસાદમુકેશ દલાલની રજૂઆતને પગલે વિદેશ મંત્રાલય સતર્ક થયું છે. કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા (દુબઈ)તરફથી સત્તાવાર ઈમેલ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે ખાતરી આપી છે કે તેમની ઓફિસ તમામ ફસાયેલા ભારતીયોનો વ્યક્તિગત સંપર્ક કરશે અને તેમને શક્ય તમામ મદદ પહોંચાડવામાં આવશે. આ માટે સ્થાનિક ભારતીય સંગઠનો અને કોમ્યુનિટી લીડર્સની પણ મદદ લેવામાં આવી રહી છે. સુરતીઓની સલામત વાપસી માટે કવાયતયુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી સુરતીઓ અને ગુજરાતીઓને હેમખેમ ભારત લાવવા માટેની વ્યવસ્થા ગોઠવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, ભારતીય એમ્બેસી ત્યાંના સત્તાધીશો સાથે સતત સંપર્કમાં છે. જે લોકો ભારત પરત આવવા માંગે છે તેમના માટે જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા અને મુસાફરીની વ્યવસ્થા કરવા માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી વિષમ પરિસ્થિતિમાં પણ નાગરિકો સુરક્ષિત રહી શકે. ઈમરજન્સી હેલ્પલાઇન અને વોટ્સએપ નંબર જાહેરફસાયેલા લોકો અને તેમના પરિવારજનોની સુવિધા માટે વિદેશ મંત્રાલય દ્વારા તાત્કાલિક હેલ્પલાઇન નંબરો જારી કરવામાં આવ્યા છે. દુબઈમાં ફસાયેલા લોકો નીચે મુજબના સંપર્ક સૂત્રોનો ઉપયોગ કરી શકશે: પરિવારજનોમાં આશાનું કિરણસુરતના સાંસદની સક્રિયતા અને વિદેશ મંત્રાલયના ત્વરિત જવાબને કારણે ફસાયેલા લોકોના પરિવારજનોમાં થોડી રાહત જોવા મળી રહી છે. મુકેશ દલાલે જણાવ્યું છે કે, જ્યાં સુધી છેલ્લો ગુજરાતી સલામત રીતે વતન પરત નહીં આવે ત્યાં સુધી તેઓ સતત ફોલોઅપ લેતા રહેશે. યુદ્ધની આ કપરી સ્થિતિમાં ભારત સરકાર પોતાના નાગરિકોની રક્ષા માટે કટિબદ્ધ છે તેવો સંદેશ આ કાર્યવાહીથી મળ્યો છે.
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી (SPU) હેઠળ કાર્યરત એસ.પી.યુ.–એસ.એસ.આઈ.પી. નવાધારા એકમ દ્વારા યુવા ઈનોવેટર્સને સહાય પૂરી પાડવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલી માસિક સમિતિની બેઠકમાં રજૂ થયેલા 8 પ્રોજેક્ટ્સમાંથી 5 શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સને કુલ ₹5.97 લાખની આર્થિક સહાય મંજૂર કરાઈ છે. આ સાથે 5 બૌદ્ધિક સંપત્તિ અધિકાર (IPR) સંબંધિત અરજીઓને પણ સત્તાવાર મંજૂરી અપાઈ છે. આ પહેલનો મુખ્ય હેતુ યુવા સંશોધકોમાં ઉદ્યમશીલતા વધારી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. મંજૂર કરાયેલા સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ્સમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ જોવા મળ્યો છે. સ્નેહા નાયરની ટીમે કૃષિ ઉત્પાદનોને સુકવવા માટે AI-આધારિત હાઇબ્રિડ સોલર ડ્રાયર વિકસાવ્યું છે. ધ્રુવ શાહના 'કિસાન પ્લસ' પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને સીધું બજાર અને જમીન સ્વાસ્થ્ય સંબંધિત માહિતી મળશે. સુરક્ષા ક્ષેત્રે, BVMના એક વિદ્યાર્થીએ સામાન્ય સીસીટીવીને સ્માર્ટ સર્વેલન્સ સિસ્ટમમાં રૂપાંતરિત કરવાની પદ્ધતિ રજૂ કરી છે. આરોગ્ય ક્ષેત્રે, આણંદ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ 'કવચ હેલ્થ ગાર્ડિયન' નામની ઘડિયાળ બનાવી છે. આ ઘડિયાળ વ્યક્તિના બાયો-સિગ્નલ ટ્રેક કરી કટોકટીમાં ઓટોમેટિક કોલ અને SMS મોકલશે. પર્યાવરણના જતન માટે, આણંદની પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની વિદ્યાર્થીનીઓએ ખનિજ-પ્રબલિત 'બાયો-લેધર'નો વિકલ્પ રજૂ કર્યો છે, જે પરંપરાગત ચામડાના સ્થાને વાપરી શકાશે. આ ઉપરાંત, સમિતિએ અગાઉ રજૂ થયેલા સેન્સરી ગ્લોબ, બાળકો માટે કુદરતી ક્રેયોન અને પર્સનલ હેલ્થ ગાઈડ જેવા 5 પ્રોજેક્ટ્સની IPR અરજીઓને પણ મંજૂરી આપી છે. શૈક્ષણિક અને તકનીકી ક્ષેત્રના નિષ્ણાતોની હાજરીમાં લેવાયેલા આ નિર્ણયોથી વિદ્યાનગરના યુવા સંશોધકોમાં નવીન સંશોધનો પ્રત્યે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલા છારાનગરમાં મોડી રાત્રે લૂંટ વિથ મર્ડરની ઘટના બની છે. છારાનગરના ફ્રી કોલોનીમાં રહેતા વૃદ્ધા ઘરમાં ઘૂસી અજાણ્યા શખ્સો દ્વારા લૂંટ ચલાવી અને હત્યા કરવામાં આવી છે. સ્થાનિક વ્યક્તિને જાણ થતા તેમણે પરિવારજનોને પોલીસને જાણ કરી હતી સરદાર નગર પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસ દ્વારા હાલ આ મામલે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. ઘરમાં ઘૂસી લૂંટ કરીને વૃદ્ધાની હત્યા કરીમહિલાના પરિવારજનો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છારાનગર ફ્રી કોલોની ખાતે ભારતીબેન બજરંગી છેલ્લા કેટલાય સમયથી એકલા રહેતાં હતાં. મોડી રાત્રે તેઓ જમી પરવારીને સુઈ ગયા હતાં. સ્થાનિક વ્યક્તિે વૃદ્ધાના ઘરમાં જોયું તો વૃદ્ધા નીચે પડેલી હાલતમાં હતાદરમિયાનમાં વહેલી સવારે 3.30 વાગ્યાની આસપાસ સ્થાનિક વ્યક્તિ જ્યારે ત્યાંથી પસાર થયો ત્યારે તેમને વૃદ્ધાના ઘરમાં જોયું તો વૃદ્ધા નીચે પડેલી હાલતમાં હતા અને કઈ અજુબતું બન્યું હોવાનું જાણ થઈ હતી.જેથી તેમણે તાત્કાલિક ધોરણે મહિલાના પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસને પણ જાણ કરી હતી. શરીર પર રહેલા દાગીના ગાયબ હતા અને ઘરની તિજોરી ખુલ્લીસરદારનગર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ઘરમાં જ્યારે જઈને જોયું તો મહિલાની નીચે પડેલી હાલતમાં હતા તેમના શરીર પર રહેલા દાગીના ગાયબ હતા અને ઘરની તિજોરી અને રોકડ રકમ સહિતની વસ્તુઓ પણ ગાયબ જોવા મળી હતી. ઇજાના નિશાન અને મોઢે વાગેલું હતું તેથી હત્યાનું જણાયુંમહિલાના શરીર પર ઇજાના નિશાન અને મોઢે વાગેલું હતું જેથી તેમની હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. મોડી રાત્રે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ઘરમાં મહિલાની હત્યા કરી અને લૂંટ કરી હતી. સરદાર નગર પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે દિન પ્રતિદિન જાહેરમાં મારામારીના બનાવો વધી રહ્યા છે. લાકડીઓ, દંડા અને તલવાર જેવા ઘાતક હથિયારો પર પ્રતિબંધ હોવા છતાં પણ જાહેર રોડ ઉપર મારામારીના બનાવો ઘટી રહ્યા નથી. જેની વચ્ચે ગઈકાલે(3 માર્ચ) રાત્રે અમદાવાદના નોબલનગર વિસ્તારમાં ધ્રુજારી કંપાવી દે એવી ઘટના સામે આવી છે. ચાર શખ્સો લાકડીઓ વડે મહિલા અને પુરુષ ઉપર તૂટી પડ્યા હતા. બાઈકો ઉપર આવેલા ચાર જેટલા શખ્સો દ્વારા લાકડીઓ વડે એક વ્યક્તિને માર મારવામાં આવી રહ્યો હતો જેને બચાવવા માટે બે મહિલાઓ વચ્ચે આવી હતી. મહિલા યુવકને બચાવી રહી હતી છતાં પણ ચારેય યુવકો દ્વારા બેફામ લાકડીઓ વરસાવવામાં આવી હતી. નિર્દયી રીતે અમદાવાદ શહેર પોલીસનો સહેજ પણ ડર ન હોય તેમ મહિલા અને પુરુષ ઉપર લાકડીઓ વડે મારામારી કરતો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. એટલી ખરાબ રીતે મહિલાને માર મારવામાં આવ્યો હતો કે તેનો હાથ સુજી ગયો હતો. લોકોના ટોળા ભેગા થઈ જતા ચારે લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને થતા સરદારનગર અને એરપોર્ટ બંને પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. બાઇક પર આવેલા ચાર શખ્સો લાકડીઓ લઈ તૂટી પડ્યાસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 3 માર્ચના રોજ રાત્રે 11થી 11:30ની આસપાસ શહેરના નોબલનગર ટર્નિંગ પાસે મહિલા અને પુરુષ ઉપર બેફામ રીતે ચાર લોકો લાકડીઓ વડે તૂટી પડ્યા હતા. બાઇક પર આવેલા ચાર જેટલા શખ્સો દ્વારા યુવકને માર મારવામાં આવી રહ્યો હતો. જેને બચાવવા માટે મહિલા વચ્ચે પડી હતી છતાં પણ ચારેય લોકો લાકડીઓ વડે માર મારી રહ્યા હતા. લોકોના ટોળેટોળા ભેગા થઈ જતા ચારે શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે મહિલા અને પુરુષને માર મારવામાં આવ્યો હતો તેમને અંગત અદાવતમાં પોલીસ સ્ટેશન જતા હતા ત્યારે માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ‘અમે પોલીસ ચોકીમાં જ જઈશું અને ભલે ત્યાં મરી જઈએ’મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. બીજા વીડિયોમાં પણ મહિલાના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એરપોર્ટ અને સરદારનગર પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચે ત્યારે પીડિત પરિવારજનો કહી રહ્યા છે કે કેવી રીતે માર માર્યો છે. અમે પોલીસ ચોકીમાં જ જઈશું અને ભલે ત્યાં મરી જઈએ પણ અમારે પોલીસ ચોકી જવું છે એવું કહેવા લાગ્યા હતા. મહિલાઓ પણ ખૂબ રડવા લાગી હતી અને અમને કેવો માર માર્યો છે જુઓ એમ કહીને જે ગંભીર રીતે મારામારી થઈ હતી તેના નિશાન બતાવ્યા હતા. પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા વચ્ચે રાત્રે જાહેર રોડ પર ગુંડાગર્દીથોડા દિવસો પહેલા પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા અમદાવાદમાં ગુનાખોરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હકીકત કંઈક અલગ જ જોવા મળી છે. શહેરમાં ગુનેગારોને જાણે કોઈ ડર ન હોય તેવી સ્થિતિ જોવા મળી છે. કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સારી હોવાની વાત કરવામાં આવી હતી. જોકે શહેરમાં જાહેર રોડ ઉપર લાકડી અને ડંડા વડે મારામારીના બનાવો સતત વધી રહ્યા છે. શહેર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને નાઈટ પેટ્રોલીંગના દાવા કરવામાં આવે છે, પરંતુ રાત્રિના સમયે પોલીસ રોડ ઉપર જો ફરતી હોય તો આવા બનાવો બને નહીં. પોલીસનો ગુનેગારોમાં ડર રહ્યો નથીશહેરમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામા બહાર પાડવામાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારના જાહેરનામાનું અમલીકરણ થતું નથી. લાકડી અને ડંડા જેવા હથિયારો લઇને લોકો બેફામ ફરતા હોય છે. શહેરમાં પીસીબી, ક્રાઈમ બ્રાન્ચ, ઝોન એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો હોવા છતાં પણ કાયદો-વ્યવસ્થા ખૂબ જ ખરાબ છે. પોલીસનો ગુનેગારોમાં ડર રહ્યો નથી. 2 દિવસ પહેલાં શાહપુરમાં દારૂના અડ્ડા પર જનતા રેડછેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓની સાથે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. દારૂના અડ્ડાઓ ઉપર જનતા રેડ કરી રહી છે. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચાલતા દારૂના અડ્ડાઓને લઈને પોલીસ ખૂબ જ નિષ્ક્રિયતા દાખવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શાહપુર વિસ્તારમાં પણ બે દિવસ પહેલા લોકોએ દરોડો પાડ્યો હતો અને ત્યારે દારૂ વેચાતો હોવા અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો હતો. તહેવારોમાં ફૂટ-નાઇટ પેટ્રોલિંગના દાવા પોકળકાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ બુટલેગરો દ્વારા પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર દ્વારા તાજેતરમાં જ પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી હતી ત્યારે કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરે તો પોલીસ સ્ટેશનનો ચાર્જ લીધો નથી તો કેટલાક પોલીસ કર્મચારીઓ રજા ઉપર ઉતરી ગયા છે. તહેવારોના સમયમાં ફૂટ પેટ્રોલિંગ અને સઘન પેટ્રોલિંગના દાવાની વચ્ચે જાહેરમાં મારામારીનો બનાવ બનતા પોલીસની નિષ્ફળતા જોવા મળી છે. જાહેરમાં મારામારી અને પોલીસની હદ વિવાદની હૈયાહોળીઘટના મામલે સરદારનગર પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ એન. બી. કલાસરિયાને દિવ્ય ભાસ્કરએ પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ ઘટના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે જેથી એરપોર્ટ પોલીસમાં નોંધ કરવામાં આવી રહી છે જ્યારે એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.ડી.નકુમને પૂછ્યું તો તેમણે જણાવ્યું હતું કે ઘટનાસ્થળની હદ નક્કી કરવામાં આવી રહી છે જે જગ્યા ઉપર મારામારી થઈ છે તે જગ્યા હજી વેરીફાઈ કરવાની બાકી છે જેથી સરદારનગર પોલીસને પણ અમે કહ્યું છે. જાહેર રોડ ઉપર બેફામ પણે મહિલા અને પુરુષને માર મારવાની ઘટનામાં એરપોર્ટ અને સરદારનગર પોલીસ હદના વિવાદમાં હજી સુધી ફરિયાદ નોંધી નથી.
સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અને પુણા વિસ્તારની નામાંકિત શાળાના સંચાલક સાથે વલસાડની મહિલાએ પ્રેમસંબંધ બાંધી તેમના કોલ રેકોડિંગ વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપી તેમજ અવારનવાર પૈસાની માંગણી કરી માનસિક અને શારીરિક ત્રાસ આપતા આખરે ભોગ બનનાર શાળા સંચાલકે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલા ઇન્ટરવ્યૂ માટે આવીને સંપર્ક થયોપોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, મૂળ અમરેલી જિલ્લાના અને વરાછા વિસ્તારમાં રહેતા દર્શનભાઈ (નામ બદલ્યું છે) પુણા વિસ્તારમાં પ્રખ્યાત એવી શાળાનું સંચાલન કરે છે. એક વર્ષ પહેલા વલસાડમાં હાઈટ હાઉસ પાસે રહેતા મહિલા સુરત ખાતે પુણા વિસ્તારમાં આવેલ શાળામાં શાખા-2માં નોકરી માટે ઇન્ટરવ્યૂ માટે આવતા દર્શનભાઈના સંપર્કમાં આવ્યા હતા અને બંને વચ્ચે વાતચીત થયા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો. સ્કૂલ સંચાલક દર મહિને 10થી 15 હજાર ગૂગલ-પે પર ટ્રાન્સફર કરતામહિલાએ કહ્યું, મારા પતિની બંને કિડની ખરાબ થઈ ગયેલ હોવાથી દર મહિને 10 હજારથી 15 હજાર સુધીનો દવાનો ખર્ચ થાય છે અને હું એકલી કમાવાવાળી છું કહેતા દર્શનભાઈ તેની ઉપર દયા કરીને દર મહિને દવાના ખર્ચ પેટે પૈસા મહિલાના ગૂગલ-પે પર ટ્રાન્સફર કરતા હતાં. મળવા માટે બોલાવીને શારીરિક સંબંધની વાત કરતી ત્યારબાદ મહિલા સુરત ખાતે અવારનવાર આવી સ્કૂલ સંચાલકને મળવા માટે બોલાવીને શારીરિક સંબંધની વાત કરતી હતી. બાદમાં દર્શનભાઈને મહિલાએ અગાઉ પણ અનેક પુરુષોને પ્રેમ સંબંધમાં ફસાવી તેઓ પાસેથી પૈસા પડાવતી હોવાનો ખ્યાલ આવતા દર્શનભાઈએ તેની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. પ્રેગનન્સી કીટનો ફોટો મોકલી એબોશન કરાવવા માટે 35 હજાર માંગ્યામહિલા દર્શનભાઈને વોટ્સઅપ કોલ કરી હેરાન પરેશાન કરી પૈસાની માંગણી કરતી હતી. એક દીવસ મહિલાએ દર્શનભાઈને વોટસએપ કોલ કરી, હું પ્રેગનેટ છું અને આ પ્રેગ્રન્સી મને તમારા થકી થયેલ છે. અને વોટસએપમાં પ્રેગનન્સી કીટનો ફોટો મોકલી એબોશન કરાવવા માટે 35 હજારની માંગણી કરી હતી. સ્કૂલ સંચાલકે તેની સાથે કોઈ શારીરીક સંબંધ બાધેલ ન હોય જેથી પૈસા આપવાની ના પાડી દીધી હતી. 'પૈસા નહી આપો તો, હું તમારા થકી પ્રેગનેટ છું તેવુ તમારા પરિવારને કહીશ'તો મહિલાએ કહ્યું હતું કે, તમે પૈસા નહી આપો તો આ હું તમારા થકી પ્રેગનેટ છું અને આ પ્રેગ્રન્સી મને તમારા થકી થયેલ છે. તેવુ તમારા ઘરના સભ્યોને જણાવીશ તેવી ધમકી આપી હતી. જેથી સ્કૂલ સંચાલક અસમંજસમાં પડી ગયેલ અને બદનામીનાં ડરથી કશું વિચાર્યા વગર 35 હજાર GPAY કરી દીધા હતા. પરીવારમાં અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપતીમહિલાએ સ્કૂલ સંચાલકને જણાવ્યું હતું કે, મેં એબોર્શન કરાવેલ નથી જો તુ મારી સાથે વાત ચાલુ નહી રાખે તો હવે આ પ્રેગનન્સીની વાત હું તારા પરીવારને જણાવી દઈશ. એવું જણાવી દર્શનભાઈને ઇમોશનલ બ્લેકમેઈલ કરતી હતી અને ફોન પર વાતચીત ચાલુ રાખવા અને મળવા આવવા મજબુર કરતા હતાં. પરીવારમાં અને સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી વારંવાર નાણાંકીય માંગણીઓ કરતા હતા. મહિલાએ કોલ રેર્કોડિંગ વાયરલ કરવાની ધમકી આપીસ્કૂલ સંચાલકે પૈસાની ના પાડી ફોન નહી કરતી એવું કહેતા મહિલાએ કોલ રેર્કોડિંગ વાયરલ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં પરંતુ જો તું પૈસા નહી આપે તો સમાજમાં બદનામ કરી નાખવાની પણ ધમકીઓ આપતી હતી. સ્કૂલ સંચાલકે મહિલા સામે ફરિયાદ નોંધાવીઆમ, મહિલાએ સ્કૂલ સંચાલકને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતી હતી. જેથી અંતે કંટાળી સ્કૂલ સંચાલકે આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વલસાડની મહિલા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગોધરા સિવિલમાં 24 કલાકમાં 35 મારામારીના કેસ:હોળી પૂર્વે ઇમરજન્સી વોર્ડ ઇજાગ્રસ્તોથી ઉભરાયો
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં હોળીના તહેવાર પૂર્વે હિંસાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં મારામારીના કુલ 35 કેસ નોંધાયા છે, જેના કારણે ઇમરજન્સી વોર્ડ ઇજાગ્રસ્તોથી ઉભરાઈ ગયો હતો. આ ઘટનાઓ પાછળ જૂની અદાવત, પારિવારિક ઝઘડા અને નાની બાબતોમાં થયેલી અથડામણો મુખ્ય કારણભૂત હોવાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલના સૂત્રો અનુસાર, આ 35 કેસ ગોધરા શહેર તેમજ પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવ્યા છે. એકસાથે મોટી સંખ્યામાં ઇજાગ્રસ્તો દાખલ થતાં હોસ્પિટલના મેડિકલ સ્ટાફ પર કાર્યભાર વધ્યો હતો. તેમ છતાં, તમામ દર્દીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. ગોધરા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. યુ.કે. વર્માએ જણાવ્યું કે, સામાન્ય ઇજાગ્રસ્તોને સારવાર આપી રજા આપવામાં આવી છે, જ્યારે ગંભીર ઇજાગ્રસ્તોને દાખલ કરીને સારવાર અપાઈ રહી છે. હોસ્પિટલ ચોકી દ્વારા આ તમામ કેસોની નોંધણી કરીને સંબંધિત પોલીસ સ્ટેશનોને જાણ કરવામાં આવી છે. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગ દ્વારા શાંતિ જાળવવા અને નશાબંધીના કડક અમલ માટે ઠેર-ઠેર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
મહિસાગર જિલ્લાના લુણાવાડાના કંતાર ગામે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, કંતાર ગામના રહેવાસી શૈલેષભાઈ ખાટ પોતાની બાઇક લઈને ઘરે જઈ રહ્યા હતા. ત્યારે તેમની બાઇક અને અન્ય એક બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં શૈલેષભાઈને મોઢા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત શૈલેષભાઈને તાત્કાલિક લુણાવાડાની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઇજાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, તેમને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યુવકના પગમાં ફ્રેક્ચર થયું છે. હાલમાં શૈલેષભાઈ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના નગડલા ગામે એક યુવાનનું ટ્રેક્ટરના રોટાવેટરમાં ફસાઈ જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. આ દુર્ઘટનામાં ભુપતભાઈ મેરના પુત્ર દીપાનું અવસાન થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, છાછર ગામે એક ખેડૂતના ખેતરમાં ટ્રેક્ટર સાથે રોટાવેટર ચલાવતી વખતે દીપા અચાનક મશીનમાં ફસાઈ ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકને જીવલેણ ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં દીપાનો જીવ જતો રહ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ ઘટના એટલી ઝડપથી બની કે કોઈને કંઈ સમજવાનો મોકો મળ્યો ન હતો. આ દુર્ઘટનાથી દીપાના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનો અને સગાસંબંધીઓમાં ગમગીની વ્યાપી ગઈ છે. સમગ્ર નગડલા અને આસપાસના વિસ્તારોમાં પણ શોકની લાગણી ફેલાઈ છે. સ્થાનિક લોકોએ પરિવારને સાંત્વના પાઠવી છે અને આ દુઃખની ઘડીમાં તેમની સાથે ઊભા રહ્યા છે. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા, તાત્કાલિક પોલીસ દળ સ્થળ પર પહોંચી ગયું હતું. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને અકસ્માતની સંપૂર્ણ હકીકત જાણવા માટે વધુ કાર્યવાહી શરૂ કરી છે.
ખાડીના દેશો યુદ્ધની ઝપેટમાં! ભારત પર સંભવિત તેલ સંકટ આવશે તો સૌથી જૂનો મિત્ર દેશ મદદ માટે તૈયાર
US Israel Iran War: ઈરાન પર અમેરિકા અને ઈરાઝરાયલના હુમલા બાદ ઈરાનની જવાબી કાર્યવાહીથી ખાડીના દેશો યુદ્ધની આગમાં ભડકે બળી રહ્યા છે. ભારત પાસે માત્ર 50 દિવસ સુધી ચાલે તેટલો જ કાચા તેલ અને પેટ્રોલિયમનો જથ્થો ઉપલબ્ધ છે. જો યુદ્ધ લાંબુ ચાલે તો ભારતને ક્રૂડ સંકટનો સામનો કરવો પડી શકે તેમ છે. તેવામાં સૌથી જૂનો દોસ્ત દેશ રશિયા ભારતની પડખે આવ્યો છે. રશિયાએ કહ્યું, ભારતની મદદ માટે તૈયાર
યુદ્ધ વચ્ચે ઈરાને અમેરિકા-ઈઝરાયલને આપ્યો ઝટકો, ખામેનેઈના મોત બાદ નવા સુપ્રીમ લીડર પસંદગી
વાઈરલ તસવીર US Israel Iran War: અમેરિકા-ઈઝરાયેલના હવાઈ હુમલાઓ અને આયતુલ્લા અલી ખામેનેઈના મોત વચ્ચે ઈરાનની સૌથી શક્તિશાળી સંસ્થા ‘એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ’ એ ખામેનેઈ પુત્ર મોજતબા ખામેનેઈને નવા સુપ્રીમ લીડર તરીકે ચૂંટી કાઢ્યા છે. આ નિર્ણય ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) એટલે કે રિવોલ્યુશનરી ગાર્ડ્સના દબાણ હેઠળ લેવામાં આવ્યો હોવાનો દાવો છે.
ગુજરાત સહિત દેશભરમાં આજે એટલે કે 4 માર્ચ 2026ના રોજ ધુળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. દરેક તહેવારને હોંશે હોશેં ઉજવતા ગુજ્જુઓ આ તહેવારને પણ પોતાની આગવી સ્ટાઈલથી ઉજવશે. ગુજરાતના શહેરોમાં ધૂળેટીના દિવસે હોળી પાર્ટીઓનો રંગ જામશે. હોળી પાર્ટી માટે દેશ-વિદેશના DJ ગુજરાતના મહેમાન બનશે અને આ પાર્ટીમાં હોળી રમવા માટે રંગરસિયાઓ 50 હજાર સુધી ખર્ચી નાખશે. અહીં પ્રાઇવેટ પૂલ, ઓર્ગેનિક કલર, વોટર ટેન્કર, રેઈન ડાન્સ, કલર શોર્ટસ, વોટર ડ્રમ્સ અને વોટર બલૂન્સ સાથે રંગોની છોળો ઉડશે. તો કેટલીક હાઇફાઇ પાર્ટીમાં તો ગુજ્જુઓ ધૂળેટીમાં બેલી ડાન્સર્સ સાથે ભીંજાશે. આવો જાણીએ અમદાવાદ-સુરત-વડોદરાના ટોપ પાર્ટી વેન્યૂ અને પાસની કિંમત વિશે…
ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ નિર્ણયમાં બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ નવેમ્બર 2025માં જાહેર કરાયેલ સુધારેલ IS 1893 (ભાગ 1): 2025 – ડિઝાઇન અર્થક્વેક હેઝર્ડ એન્ડ ક્રાઇટેરિયા ફોર અર્થક્વેક રેઝિસ્ટન્ટ ડિઝાઇન ઑફ સ્ટ્રક્ચર્સ અંગેની ગેઝેટ સૂચના સત્તાવાર રીતે પરત ખેંચી છે. 3 માર્ચ, 2026ના રોજ જાહેર કરાયેલ નવી સૂચના અનુસાર, 6 નવેમ્બર, 2025ની (પ્રકાશન તારીખ 13 નવેમ્બર, 2025)અગાઉની ગેઝેટ સૂચના તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવી છે. સુધારેલ સિસ્મિક કોડના અમલ પહેલાં ફરીથી સમીક્ષા થશેમૂળ 2025ની સૂચનામાં IS 1893(ભાગ 1):2025 અમલમાં મુકવાનો ઉલ્લેખ હતો અને અગાઉ અમલમાં રહેલ IS 1893(ભાગ 1): 2016ને 3મે, 2026થી રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ટેક્નિકલ અને આર્થિક અસર અંગે ઊંચા સ્તરે ઉઠેલા પ્રશ્નો છે કે, ખાસ કરીને મેટ્રો રેલ, મોટા પુલો અને બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર પડતા અસરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સુધારેલ સિસ્મિક કોડના અમલ પહેલાં ફરીથી સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. IS 1893 (ભાગ 1): 2016 હાલ યથાવત અમલમાં રહેનવેમ્બર 2025ની સૂચના પરત ખેંચાતા IS 1893 (ભાગ 1): 2016 હાલ યથાવત અમલમાં રહેશે. 2025નું સુધારેલ વર્ઝન હવે વધુ ચર્ચા અને પરામર્શ બાદ જ આગળ વધશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર મંત્રાલયો, મોટા બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ, પુલો અને મેટ્રો રેલ સંસ્થાઓ સાથે વ્યાપક સમીક્ષા થવાની સંભાવના છે વિશેષજ્ઞોનું માનવું છે કે સરકાર સ્ટેકહોલ્ડર્સ સાથે વ્યાપક ચર્ચા કર્યા બાદ જરૂરી ફેરફારો સાથે સુધારેલ કોડ ફરીથી જાહેર કરી શકે છે. ગુજરાત પર શું અસર?ગુજરાત જેવા રાજ્યોમાં, જ્યાં મોટા પાયે શહેરી વિકાસ, હાઈ-રાઈઝ બિલ્ડિંગ, બ્રિજ અને મેટ્રો પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, ત્યાં સિસ્મિક કોડમાં મોટા ફેરફારોથી સ્ટ્રક્ચરલ ડિઝાઇન ફોર્સમાં વધારો, રીનફોર્સમેન્ટ અને ફાઉન્ડેશન સાઇઝમાં વધારો, પ્રોજેક્ટ ખર્ચમાં વધારો અને ચાલુ DPR અને ટેન્ડર પર પુનઃવિચાર કરવાની જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકતી હતી, જે હાલ પૂરતી નહીં થાય. ટેક્નિકલ ચર્ચા અને સમીક્ષા બાદ નવી સૂચના આવી શકેહાલ માટે, ડિઝાઇનર્સ, કન્સલ્ટન્ટ્સ અને કોન્ટ્રાક્ટર્સ IS 1893:2016 મુજબ જ ડિઝાઇન કામગીરી ચાલુ રાખશે. આગામી મહિનાઓમાં BIS, વિવિધ મંત્રાલયો, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ સંસ્થાઓ અને પ્રોજેક્ટ ઓથોરિટીઝ વચ્ચે ટેક્નિકલ ચર્ચા અને સમીક્ષા થવાની શક્યતા છે. ત્યારબાદ જ નવી સૂચના બહાર પાડવામાં આવી શકે છે. 'સ્ટ્રક્ચરલ ડિઝાઇન અને ખર્ચ પર અસર પડે'સ્ટ્રક્ચરલ નિષ્ણાત આનંદ શાહે જણાવ્યું હતું કે, ભૂકંપ પ્રતિકારક ડિઝાઇન માટે IS 1893 જેવા કોડમાં સમયાંતરે સુધારા કરવું જરૂરી છે, કારણ કે નવી સિસ્મિક માહિતી અને સંશોધન મુજબ ડિઝાઇન પેરામીટર્સ બદલાતા રહે છે. જો ઝોન ફેક્ટર અને ડિઝાઇન ફોર્સમાં વધારો થાય તો બિલ્ડિંગ, પુલ અને મેટ્રો જેવી મોટી રચનાઓના સ્ટ્રક્ચરલ ડિઝાઇન અને ખર્ચ પર અસર પડે છે. તેથી આવા ફેરફારો અમલમાં મૂકતા પહેલાં વિસ્તૃત ચર્ચા અને તબક્કાવાર અમલ જરૂરી છે. સલામતીને પ્રાથમિકતા આપતાં સાથે પ્રોજેક્ટની આર્થિક અને ટેક્નિકલ બાબતો/ વ્યવહારિકતા જાળવવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં આજે ઉમરવાડા ખાતે આવેલા ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન પર કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા ડ્રાઈવરોએ એકાએક વિરોધ પ્રદર્શન અને હોબાળો શરૂ કર્યો હતો. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે એક તબક્કે સ્થાનિક કર્મચારીઓમાં ફાળ પડી હતી, જોકે ઉચ્ચ અધિકારીઓની મધ્યસ્થી બાદ મામલો થાળે પડ્યો હતો. ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી વિવાદોમાં!મળતી માહિતી અનુસાર, વરાછા ઝોનમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં હતી. સ્થાનિક રહીશો દ્વારા વારંવાર ફરિયાદો કરવામાં આવી રહી હતી કે કચરો લેવા આવતા ટેમ્પોના ડ્રાઈવરો અનિયમિત છે અને કામગીરીમાં ભારે બેદરકારી દાખવી રહ્યા છે. ડ્રાઈવરોની મનમાની અને લાલિયાવાડીને કારણે સફાઈ અભિયાન પર માઠી અસર પડી રહી હતી. ડ્રાઈવરોને નોકરી પરથી તાત્કાલિક અસરથી છૂટા કરાતા હોબાળોઆ ફરિયાદોને ગંભીરતાથી લઈને સંબંધિત કોન્ટ્રાક્ટર દ્વારા શિસ્તભંગના પગલાં ભરવામાં આવ્યા હતા. જે ડ્રાઈવરો વારંવાર સૂચના આપવા છતાં સુધર્યા ન હતા, તેવા લાપરવાહ ડ્રાઈવરોને નોકરી પરથી તાત્કાલિક અસરથી છૂટા કરી દેવામાં આવ્યા હતા અને તેમના સ્થાને નવા ડ્રાઈવરોની નિમણૂક કરવામાં આવી હતી. પોતાની નોકરી જતી રહેતા રોષે ભરાયેલા જૂના ડ્રાઈવરોએ આજે સવારે ઉમરવાડા પ્લાન્ટ પર મોરચો માંડ્યો હતો. ડ્રાઈવરોએ સૂત્રોચ્ચાર કરીને કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યોઆજે સવારે જ્યારે કચરાના ટેમ્પો ખાલી કરવા અને નવા રૂટ પર નીકળવાની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે જ છૂટા કરાયેલા ડ્રાઈવરોએ પ્લાન્ટના પ્રવેશદ્વાર પાસે હોબાળો મચાવ્યો હતો. વિરોધ કરી રહેલા ડ્રાઈવરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ આકસ્મિક વિરોધને કારણે પ્લાન્ટમાં ફરજ બજાવતા સેનેટરી ઈન્સ્પેક્ટર અને અન્ય નાના કર્મચારીઓ ગભરાઈ ગયા હતા અને વાતાવરણમાં ભારે ગરમાટો આવી ગયો હતો. અધિકારીઓની મધ્યસ્થી બાદ મામલો થાળે પડ્યોઘટનાની જાણ થતા જ વરાછા ઝોનના ઉચ્ચ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કલાકોની જહેમત અને સમજાવટ બાદ આખરે મામલો શાંત પડ્યો હતો. અધિકારીઓએ મોરચો સંભાળીને વિરોધ કરી રહેલા ટોળાને વિખેર્યું હતું અને ફરી એકવાર ગાર્બેજ કલેકશનની કામગીરી પૂર્વવત કરી હતી. મામલો થાળે પડતા પ્લાન્ટના કર્મચારીઓએ હાશકારો અનુભવ્યો હતો.
હાલમાં ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. મિસાઈલના હુમલા અને વળતા પ્રહારો વચ્ચે વિશ્વભરની નજર ઈઝરાયલ પર છે. આ તણાવભરી સ્થિતિ વચ્ચે ઘણાં ગુજરાતીઓ ત્યાં રોજગાર અર્થે વસી રહ્યા છે. મૂળ જૂનાગઢ જિલ્લાના માણાવદરના વતની અને છેલ્લા દોઢ મહિનાથી ઈઝરાયલમાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કાર્યરત રમેશભાઈ ડાયાલાલ ચુડાસમા (જેઓ મુન્ના ડાયા તરીકે ઓળખાય છે) તેમણે 'દિવ્ય ભાસ્કર' સાથેની ખાસ વાતચીતમાં ઈઝરાયલની વર્તમાન સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થા વિશે ચોંકાવનારી અને હિંમત આપનારી વિગતો શેર કરી છે. ‘માહોલ હાલ શાંત છે, હજુ પણ મિસાઈલો આવે છે’ મુન્ના ડાયાએ જણાવ્યું હતું કે, ગત શુક્રવાર અને શનિવાર ઈઝરાયલ માટે અત્યંત ગંભીર રહ્યા હતા. ઈરાન તરફથી મિસાઈલોનો મારો ચલાવવામાં આવતા વાતાવરણમાં ભારે તંગદિલી સર્જાઈ હતી. જોકે, રવિવારથી સ્થિતિમાં થોડો સુધારો થયો છે અને માહોલ હાલ શાંત છે. તેમ છતાં, અચાનક વાગતી સાયરનો અને આકાશમાં દેખાતી મિસાઈલો હજુ પણ યુદ્ધની ગંભીરતાનો અહેસાસ કરાવે છે. અમે અહીં જેરૂસલેમના ગીલો ગામમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરીએ છીએ, જ્યાં ઘણી વખત હુમલાની ચેતવણી રૂપે સાયરનો સંભળાય છે. ‘મિસાઈલ આવે તેની 5 મિનિટ પહેલા મોબાઈલમાં એલર્ટ આવે’ઈઝરાયેલની સંરક્ષણ ટેકનોલોજી વિશે વાત કરતા મુન્ના ડાયાએ જણાવ્યું કે, અહીંની સુરક્ષા વ્યવસ્થા વિશ્વમાં શ્રેષ્ઠ છે. જ્યારે પણ કોઈ મિસાઈલ કે રોકેટ હુમલાની શક્યતા હોય, ત્યારે તેના 5 મિનિટ પહેલા જ દરેક વ્યક્તિના મોબાઈલમાં એક વિશેષ મેસેજ આવે છે અને જોરદાર સાયરન વાગે છે. જ્યાં સુધી વ્યક્તિ તે સાયરનને મેન્યુઅલી બંધ ન કરે ત્યાં સુધી તે વાગતી રહે છે. આ સાયરનનો અર્થ એ છે કે વ્યક્તિએ વહેલી તકે નજીકના બંકરમાં આશરો લઈ લેવો. ‘દરેક બિલ્ડિંગમાં આધુનિક બંકરોની સુવિધા’ઈઝરાયેલ સરકારના કડક નિયમો વિશે માહિતી આપતા રમેશભાઈએ જણાવ્યું કે, અહીં કોઈ પણ નવું બાંધકામ શરૂ થાય ત્યારે પાયામાં જ સૌથી પહેલા 'બંકર' બનાવવામાં આવે છે. તે ગમે તેટલા માળની બિલ્ડિંગ હોય, નીચે મોટું બંકર હોવું ફરજિયાત છે. હાલ તેઓ પાંચ માળની બિલ્ડિંગમાં કામ કરી રહ્યા છે, જ્યાં 100 લોકો એકસાથે રહી શકે તેવું વિશાળ બંકર છે. આ બંકરો માત્ર ખાડા નથી, પરંતુ તેમાં ગરમ હીટરથી લઈ જીવનજરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. જ્યારે પણ સાયરન વાગે, ત્યારે તમામ શ્રમિકો કામ છોડીને સલામતી માટે બંકરમાં ઉતરી જાય છે. ઈઝરાયેલી કમાન્ડો ‘પત્તા હિલને સે પહેલે પેડ કાટ ડાલતે હૈ’ઈઝરાયેલી સેનાના સાહસ વિશે વાત કરતા મુન્ના ડાયાએ એક ફિલ્મી ડાયલોગ ટાંકીને કહ્યું કે, અહીંના કમાન્ડો એટલા ખતરનાક અને સજ્જ છે કે દુશ્મનનું મિસાઈલ ઈઝરાયલની ધરતીને સ્પર્શે તે પહેલા જ તેને હવામાં નષ્ટ કરી નાખે છે. ઈઝરાયેલની 'આયર્ન ડોમ' જેવી ટેકનોલોજી મિસાઈલોને આકાશમાં જ ફૂંકી મારે છે, જે દૃશ્યો ઘણીવાર નરી આંખે દૂર આકાશમાં જોઈ શકાય છે. ઈઝરાયલ સરકારને મોદી સરકાર પર અતૂટ ભરોસોઈઝરાયેલમાં વસતા તમામ ભારતીયોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પૂરો વિશ્વાસ છે. મુન્ના ડાયાએ જણાવ્યું કે, ગત 25-26 ફેબ્રુઆરીએ જ્યારે મોદી સાહેબ અહીં આવ્યા હતા, ત્યારથી અહીંની સરકાર પણ ભારતીયોની સુરક્ષા માટે વધુ સતર્ક બની છે. ઈઝરાયેલ સરકાર ઈચ્છે છે કે ભારતીય લોકોનો વાળ પણ વાંકો ન થાય. અહીંના કમાન્ડો અને તંત્ર અમને પૂરેપૂરી સુરક્ષા પૂરી પાડે છે. તેમણે ભારતમાં રહેતા વાલીઓને અપીલ કરી છે કે, તેઓ ગભરાય નહીં, કારણ કે તેમના સંતાનો અહીં સુરક્ષિત છે. જંગલ વિસ્તારમાં બિન્દાસ કામકાજ અને શુક્રવારની રજાહાલ ઈઝરાયેલના જંગલ વિસ્તારોમાં મોટા પાયે બાંધકામ ચાલી રહ્યું છે. મુન્ના ડાયાએ જણાવ્યું કે અહીંના લોકો અને ભારતીય શ્રમિકો બિન્દાસ રીતે કામ કરી રહ્યા છે. શુક્રવારે અહીં જાહેર રજા હોય છે અને વાહનોની અવરજવર ઓછી હોય છે, જેથી લોકોને આરામ મળે. રજાના દિવસે શ્રમિકો ખરીદી કરવા નીકળે છે અને સામાન્ય જીવન જીવે છે. જે લોકો વૃદ્ધોની સેવા (Caretaking) માટે કે ખાનગી નોકરી માટે આવે છે, તેમને પણ તેમના રહેઠાણની નીચે જ બંકરની સુવિધા આપવામાં આવે છે. આકસ્મિક સુરક્ષાની તાલીમ ફરજિયાતઈઝરાયેલમાં પગ મૂકતાની સાથે જ કોઈ પણ વ્યક્તિને સૌથી પહેલા સુરક્ષાની તાલીમ આપવામાં આવે છે. સાયરન વાગે ત્યારે કેટલા સમયમાં બંકર પહોંચવું, કેવી રીતે પોતાની સલામતી જાળવવી અને કઈ તકેદારી રાખવી તેની સંપૂર્ણ માહિતી સરકાર દ્વારા આપવામાં આવે છે. આ વ્યવસ્થિત આયોજનને કારણે જ ગુજરાતીઓમાં ડરનો માહોલ નથી. તેલેવીવ અને જેરૂસલેમ જેવા શહેરોમાં અત્યારે પણ સાયરનો વાગી રહી છે અને એટેક શરૂ છે, પરંતુ ઈઝરાયેલની ટેકનોલોજી અને સૈન્યની તાકાત સામે દુશ્મનોના મનસૂબા હવામાં જ ઓગળી રહ્યા છે. મુન્ના ડાયાના જણાવ્યા મુજબ, શુક્ર-શનિ જેવી તીવ્ર પરિસ્થિતિ હાલ નથી, અને જનજીવન ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે. ઈરાનમાં 742નાં મોત, 750 ઘાયલઅલ-જઝીરાના રિપોર્ટ અનુસાર, અમેરિકા અને ઇઝરાયલે અત્યાર સુધી ઈરાનના 1000થી વધુ ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. આ દરમિયાન શરૂઆતના 30 કલાકમાં 2000થી વધુ બોમ્બ ફેંકવામાં આવ્યા છે. આમાં અત્યાર સુધીમાં 742 લોકોનાં મોત થયા છે, જેમાં 176 બાળકો છે. 750થી વધુ લોકો ઘાયલ થયા છે. 28 ફેબ્રુઆરીએ શરૂ થયેલી આ લડાઈના પહેલા દિવસે થયેલા બોમ્બમારામાં ઈરાની સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેની માર્યા ગયા હતા. આ ઉપરાંત રવિવારે 3 અમેરિકી સૈનિકો માર્યા ગયા હતા.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

32 C