SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

33    C
... ...View News by News Source

બોટાદ ટ્રાફિકે પોલીસે વાહનચાલકોને સેફ્ટી બેલ્ટનું વિતરણ કર્યું:ઉતરાયણ પૂર્વે જ્યોતિગ્રામ સર્કલ પાસે ટ્રાફિક નિયમોનું માર્ગદર્શન અપાયું

બોટાદમાં ઉતરાયણ પર્વને ગણતરીના કલાકો બાકી છે ત્યારે બોટાદ ટ્રાફિક પોલીસે વાહનચાલકોની સલામતી માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. આ પહેલ અંતર્ગત વાહનચાલકોને સેફ્ટી બેલ્ટનું વિતરણ કરી ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શહેરના જ્યોતિગ્રામ સર્કલ અને એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક ટ્રાફિક પોલીસે વાહનચાલકોને રોક્યા હતા. તેમને સેફ્ટી બેલ્ટ બાંધી આપીને માર્ગ સલામતીનો મહત્વપૂર્ણ સંદેશો આપવામાં આવ્યો હતો. આ કામગીરીમાં બોટાદ ટ્રાફિક PSI એ.એમ. રાવલ, PSI ચૌધરી અને ટ્રાફિક સ્ટાફ જોડાયા હતા. તેમણે વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, હેલ્મેટ ફરજિયાત પહેરવા અને ઉતરાયણ દરમિયાન માર્ગ સલામતી જાળવવા અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ટ્રાફિક પોલીસની આ પહેલથી વાહનચાલકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ જોવા મળી હતી. લોકોએ પોલીસની આ કામગીરીની પ્રશંસા કરી હતી. બોટાદ જિલ્લા ટ્રાફિક PSI એ.એમ. રાવલે વાહનચાલકોને સેફ્ટી બેલ્ટના વિતરણ અંગે માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 3:55 pm

ગ્રંથરત્ન શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ:શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ભવ્ય સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ગ્રંથરત્ન શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે જ્ઞાનમહોદધિ આચાર્ય જિતેન્દ્રિયપ્રિયયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, કરજીસણ (ભાઈઓનું) શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ - નવનિર્માણ મહોત્સવ તથા શ્રી સ્વામિનારાયણ મંદિર કરજીસણ (બહેનોનું) ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવે ભવ્ય શિક્ષાપત્રી વિજય યાત્રા પાંચ ગજરાજ ઉપર નિકળી હતી. જેમાં હકડેઠઠ માનવ મેદની હૈયે હૈયું દળાય એવી ત્રણ કિલોમીટરની લંબાઈમાં પ્રદર્શિત થતી હતી. ચતુર્થ દિવસીય મહોત્સવના કાર્યક્રમની વિગતો આપતાં મહંત સદ્ગુરુ ભગવત્પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજાયા હતા જેવા કે વિવિધ ગ્રંથોની પારાયણો, મહાપૂજા, આરતી, સાંસ્કૃતિક કાર્યક્રમ, સમૂહ રાસ, ભવ્ય અન્નકૂટ સાથે ભગવાનના મૂર્તિ પધરાવ્યા હતા. બ્લડ ડોનેશન કેમ્પ, પર્યાવરણ જતન માટે દાન, ગામના પશુઓ ગાયો, ભેંસો માટે ઘાસ તથા પક્ષીઓ માટે ચણ, કીડીયારું પુરવામાં તેમજ જરૂરીયાતમંદને વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું. આ અણમોલ અવસરનો લ્હાવો ધણી મોટી સંખ્યામાં દેશ વિદેશના હરિભકતોએ ભકિતભાવપૂર્વક લીધો હતો. શ્રી સ્વામિનારાયણ સિધ્ધાંત સજીવન મંડળ, કરજીસણના હરિભકતોએ સેવાનો લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 3:54 pm

મોડાસામાં રાષ્ટ્રીય યુવા દિવસે 'રન ફોર સ્વદેશી' દોડ:400 થી વધુ વિદ્યાર્થીઓ 'હર ઘર સ્વદેશી' સંકલ્પ સાથે જોડાયા

અરવલ્લી જિલ્લાના મોડાસામાં 12 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે 'સ્વદેશી જાગરણ મંચ' દ્વારા 'રન ફોર સ્વદેશી' સંકલ્પ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં 400થી વધુ વિદ્યાર્થીઓ 'હર ઘર સ્વદેશી'ના સંકલ્પ સાથે જોડાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને આર્થિક રીતે સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવાનો હતો. આ સ્વદેશી સંકલ્પ દોડને મોડાસા સ્થિત મ.લા. ગાંધી કોલેજ કેમ્પસ ખાતેથી કોલેજના પ્રમુખ મહેન્દ્ર શાહ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સ્વદેશી જાગરણ મંચ અરવલ્લી દ્વારા આયોજિત આ દોડમાં મોડાસા કેળવણી મંડળ અને કોલેજ મંડળની તમામ શાળાઓ અને કોલેજોના 400થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દોડ દરમિયાન યુવા વર્ગમાં ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. સ્વદેશી અપનાવો – દેશ બચાવો અને ભારત માતા કી જય જેવા સૂત્રોચ્ચારોથી સમગ્ર શહેર દેશપ્રેમના રંગે રંગાઈ ગયું હતું. આ સંકલ્પ દોડની પૂર્ણાહુતિ મોડાસા સ્કૂલ ખાતે કરવામાં આવી હતી, જ્યાં મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીનભાઈ શાહ દ્વારા દોડનું સમાપન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ ઘરમાં અને પરિવારમાં સ્થાનિક તથા સ્વદેશી વસ્તુઓને પ્રાથમિકતા આપવા, વિદેશી કંપનીઓની બનાવટોનો ઉપયોગ ન કરવા, સ્વદેશી લે-વેચ, ભાષા, વેશભૂષા અને ઉત્સવોની પરંપરાઓનું સંરક્ષણ કરવા તેમજ 'હર ઘર સ્વદેશી'ના વિચારને જનજન સુધી પહોંચાડવા સતત પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 3:38 pm

ઉંઝા મિત્ર મંડળ અમદાવાદનો 35મો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો:વિદ્યાર્થીઓ સહિત ઉજ્જવળ કારકિર્દી ધરાવતા સભ્યોને પ્રોત્સાહિત કરાયા

અમદાવાદમાં વસવાટ કરતા ઉંઝા મિત્ર મંડળ અમદાવાદનો ૩૫મો સ્નેહમિલન કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ વાર્ષિક કાર્યક્રમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 11 જાન્યુઆરી 2026ના રોજ યોજાયો હતો. આ સ્નેહમિલન કાર્યક્રમમાં મંડળના મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પરિવારોમાં એકતા જાળવવાનો અને સભ્યોને પ્રોત્સાહિત કરવાનો હતો. આ પ્રસંગે ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ તેમજ બીએસસી, ડોક્ટર, સીએ, પીએચડી, એમફાર્મ જેવી ઉજ્જવળ કારકિર્દી ધરાવતા પરિવારના સભ્યોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, દરેક સભ્ય માટે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મંડળના કારોબારી સભ્યો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 3:37 pm

ઉતરાયણમાં પક્ષીઓની જીવાદોરી બચાવતુ કરૂણ અભિયાન:રાજકોટમાં મકર સંક્રાંતિના ઘાયલ કબૂતર, હોલો, સમડી, ઘુવડની 16 મેડિકલ કેમ્પમાં સારવાર, વહેલી સવારે - સાંજે પતંગ ન ઉડાવવા તબીબોની અપીલ

ગુજરાત રાજ્યમાં 10 થી 20 જાન્યુઆરી પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન કાર્યરત છે ત્યારે રાજકોટના 16 સ્થળો પર અબોલ જીવોની સારવાર માટેના મેડિકલ કેમ્પનો આજથી પ્રારંભ થયો છે. જેમાં કબૂતર, હોલા, ઘુવડ, સમડી સહિતના પક્ષીઓ ઘાયલ થઈને આવે છે. જેમાં 30 વેટરનિટી તબીબો તેમની ખડેપગે સારવાર કરી રહ્યા છે. દિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે આ કેમ્પ સ્થળ પર પહોંચી ત્યારે ત્યાં પેલિકન અને કબૂતર પતંગની દોરીથી કપાયેલી હાલતમાં લાવવામાં આવ્યું હતું જ્યાં ડોક્ટર દ્વારા તેમની ટાંકા અને ડ્રેસિંગ લઈ સારવાર કરવામાં આવી હતી. તબીબોની એક જ અપીલ છે કે પતંગ રસિયાઓ વહેલી સવારે અને સાંજે પતંગ ન ઉડાવે તેમજ ચાઇનિઝ કે કાચ પાયેલી દોરીનો ઉપયોગ ન કરી અબોલ જીવોની જીવાદોરી બચાવે. ગત વર્ષે 2000 પક્ષીઓ ધારદાર દોરીના લીધે ઘવાયા હતા જ્યારે 400 પક્ષીઓના મૃત્યુ થયા હતા. રાજકોટના ત્રિકોણ બાગ ખાતે આજથી શરૂ થયેલા કરુણા અભિયાનના મેડિકલ કેમ્પનો રાજ્યના મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે પ્રારંભ કરાયો હતો. આ તકે ડૉ. નિકુંજ પીપળીયાએ જણાવ્યું હતું કે, 10 થી 20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન અંતર્ગત અહીં સવારે 7 થી સાંજે 6 વાગ્યા દરમિયાન પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવે છે. 12 થી 15 જાન્યુઆરી સુધી મેડિકલ કેમ્પ કાર્યરત છે આ સિવાય ત્રણ હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ 24 કલાક પક્ષીઓની સારવાર માટે રહે છે. આ સિવાય 10 થી વધુ જગ્યાએ આ કેમ્પ થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે મકરસંક્રાંતિ દરમિયાન પતંગ ની દોરીના કારણે કબૂતર, હોલો, બગલો, ઘુવડ અને સમડી જેવા પક્ષીઓ ઇજાગ્રસ્ત થતા હોય છે. કરૂણા અભિયાન અને હેલ્પલાઈન નંબર 1962 માં ફોન કરી લોકો પક્ષીઓના ઘાયલ થવાની જાણ કર્યા બાદ જે તે જગ્યાએ પહોંચી તે પક્ષીને કેમ્પ સ્થળ પર લઈ આવવામાં આવે છે અને તેની સારવાર કરવામાં આવે છે. પક્ષીઓની પાંખ કે ગરદન તૂટી ગઈ હોય તો ત્યાં ટાંકા લઈ મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને ત્યારબાદ તે જ્યાં સુધી સાજુ ન થાય ત્યાં સુધી શેલ્ટરમાં રાખવામાં આવે છે અને ત્યારબાદ તેને આકાશમાં વિહરવા માટે મુક્ત કરવામાં આવે છે. તેમણે અંતમાં જણાવ્યું કે ગત વર્ષે મકરસંક્રાંતિ દરમિયાન 13, 14 અને 15 જાન્યુઆરીના મેડિકલ કેમ્પ કાર્યરત હતો. જે દરમિયાન પતંગની કાતિલ દોરીથી ઘાયલ થયેલા 2000 પક્ષીઓ આવ્યા હતા. જેમાંથી 1,400 પક્ષીઓની કેમ્પ સ્થળે ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગત વર્ષે 400 પક્ષીઓના મૃત્યુ પણ થયા હતા. જો કોઈ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજયભરમાં આ વર્ષે 700 થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો, 620 થી વધારે તબીબો તેમજ 5000 ઉપરાંતની સંખ્યામાં સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે. ઉતરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમ્યાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર-માવજતનું આ કરૂણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. છેલ્લા 5 વર્ષોમાં અંદાજે 60 હજારથી વધુ પક્ષીઓની કરૂણા અભિયાન અન્વયે સારવાર સુશ્રુષા કરવામાં આવી છે. સારવારનાં સ્થળો 1.ત્રિકોણબાગ, રાજકોટ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ - એનીમલ હેલ્પલાઈન2.અર્હમ યુવા સેવા ગ્રુપ, મોદી સ્કુલ પાસે, રાજકોટ 3.અર્હમ યુવા સેવા ગ્રુપ, ઓમ નગર સર્કલ, મવડી,૧૫૦ ફૂટ રીંગ રોડ4.અર્હમ યુવા સેવા ગ્રુપ,ક્રિસ્ટલ મોલ સામે,કાલાવડ રોડ5.અર્હમ વેટરનરી કલીનીક, હનુમાન મઢી, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ 6.રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, પાંજરાપોળ-સામા કાંઠે7.પંચનાથ વેટરનરી કલીનીક, પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ8.બાલક હનુમાન, પેડક રોડ, રાજકોટ, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ 9.કિસાનપરા ચોક, રાજકોટ, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ10.કરુણા એનીમલ હોસ્પિટલ, ગોંડલ ચોકડી પાસે, તુલીપ પાર્ટી પ્લોટ, વાવડી11.શેણી સદભાવના એનીમલ હેલ્પલાઈન હોસ્પિટલ શેલ્ટર), શ્રેયાંસ સ્કૂલ પાસે, એફ.સી.આઈ. ગોડાઉન રોડ, શેઠનગર પછી તરત, પ્રિન્સેસ સ્કૂલનાં ગ્રાઉન્ડ પાછળ, જામનગર રોડ12.ઈમ્પીરીયલ હાઈટ્સ, જીવદયા ઘર13.આજીડેમ, જીવદયા ઘર14.મુંજકા, વન વિભાગ15.મોરબી રોડ જકાતનાકા, કરુણા અભિયાન16.વેટરનરી પોલીટેકનીક, ડૉ. ગરાળા સાહેબ રાજય સરકાર સંચાલિત કરુણા એનિમલ હેલ્પલાઈન નંબર -1962 રાજકોટ જીલ્લો (ગ્રામ્ય)1.ગોંડલ અર્હમ યુવા સેવા ગૃપ2.ગોંડલમાં હિતેશભાઈ દવે3.ઉપલેટા જીવ સાર્થક ફાઉન્ડેશન4.ધોરાજી ક્રિષ્ના ગૌશાળા5.વિંછીયા વિંછીયા મહાજન પાંજરાપોળ6.પડધરીમાં દિપેશભાઈ પરમાર ઘવાયેલા પશુ-પક્ષીઓની સારવાર માટેના ઈમરજન્સી નંબર ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ નં. - 0281 2471573પતંગના દોરાથી વિદ્યુત તારોમાં ફસાયેલા પક્ષીની મદદ માટે પી.જી.વી.સી.એલ. ટોલ ફ્રી નંબર - 1800233155333

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 3:34 pm

ગાગોદર પોલીસે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરી:'શીખ સે સુરક્ષા' થીમ હેઠળ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ, રાપર તાલુકાના ગાગોદર પોલીસ સ્ટેશન દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ગાગોદરની સરકારી હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો. પીઆઈ વી.એ. સેગલ અને તેમના સ્ટાફ દ્વારા 'શીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન' થીમ અંતર્ગત ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને વાહનચાલકોને માર્ગ સલામતીના નિયમો વિશે જાગૃત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં ડ્રાઇવિંગ લાયસન્સ, ઓવરસ્પીડિંગ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ, અને અનઅધિકૃત પાર્કિંગ જેવા નિયમો વિશે વિગતવાર સમજણ આપવામાં આવી. આ પ્રસંગે ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ તેમજ 12 જેટલા વાહનચાલકો ઉપસ્થિત રહ્યા હતા. રોડ સેફ્ટીના નિયમો અંગેના પેમ્ફલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 3:34 pm

PSI-LRD એકઝામના કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરૂ થયું:13,591 જગ્યાઓ માટે 21 જાન્યુઆરીએ ફિઝિકલ ટેસ્ટ

ગુજરાત પોલીસમાં જોડાવાનું સપનું જોતા લાખો યુવાનો માટે મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગના વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ આગળ વધારો થયો છે. ભરતી બોર્ડે આ જગ્યાઓ માટેની શારીરિક કસોટીની તારીખો જાહેર કરી દીધી છે. 12 જાન્યુઆરી બપોરે 2.00 વાગ્યાથી કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરૂ થયું છે. ફિઝિકલ ટેસ્ટ 21 જાન્યુઆરીએ ભરતી બોર્ડની જાહેરાત અનુસાર, PSI અને LRD માટેની ફિઝિકલ ટેસ્ટ આગામી 21 જાન્યુઆરીએ શરૂ થશે. રાજ્યના વિવિધ કેન્દ્રો પર ઉમેદવારોની દોડ, ઉંચાઈ-છાતી માપ તેમજ અન્ય શારીરિક કસોટીઓનું આયોજન કરવામાં આવશે. લાંબા સમયથી ભરતી પ્રક્રિયાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ સમાચાર રાહતરૂપ સાબિત થયા છે. આજે 2.00 વાગ્યાથી કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરૂ થયું 12 જાન્યુઆરી બપોરે 2.00 વાગ્યાથી કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરૂ થયું છે. ઉમેદવારો અધિકૃત વેબસાઇટ પરથી પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. કોલ લેટરમાં ઉમેદવારની પરીક્ષા તારીખ, સમય, કેન્દ્ર તેમજ જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. લાખો ઉમેદવારો લેશે ભાગPSI અને LRD ભરતી માટે રાજ્યભરમાંથી લાખો યુવાનો અરજી કરી ચૂક્યા છે. આ ભરતીને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસ દળમાં જોડાઈને રાજ્યસેવા કરવાનો અવસર મળતા યુવાનો લાંબા સમયથી તૈયારીમાં જોડાયેલા હતા. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ઉમેદવારોને અપીલ કરી છે કે, કોલ લેટરમાં આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરે અને સમયસર પરીક્ષા કેન્દ્ર પર હાજર રહે. શારીરિક કસોટી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન કરવામાં આવશે નહીં.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 3:31 pm

પોલીસ પર હુમલો કરનાર બંને ઝડપાયા:ભાવનગરના વરતેજમાં ટ્રાફિક નિયમન દરમિયાન બની હતી ઘટના

ભાવનગરના વરતેજમાં ટ્રાફિક નિયમન કરી રહેલા પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવા બદલ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના શુક્રવારે સવારે રંગોલી પુલ પાસે બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે સવારે વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રંગોલી પુલ પાસે ASI રાજેન્દ્રસિંહ નટુભા ગોહિલ, હોમગાર્ડ અને જી.આર.ડી.ના સભ્યો ટ્રાફિક નિયમનની ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે ઉત્સવભાઈ યોગેશભાઈ દવે અને ઉત્કર્ષભાઈ યોગેશભાઈ દવે નામના બે ઈસમોએ પોલીસ સ્ટાફ સાથે માથાકૂટ કરી અસભ્ય વર્તન કર્યું હતું.આ ઘટના બાદ ASI રાજેન્દ્રસિંહ નટુભા ગોહિલે વરતેજ પોલીસ મથકમાં બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ઉત્સવભાઈ દવે અને ઉત્કર્ષભાઈ દવે બંનેને ઝડપી પાડ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 3:29 pm

કોંગ્રેસે મનરેગા યોજનાના ફેરફારોનો વિરોધ કર્યો:આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની રૂપરેખા જાહેર કરી, કાયદો પાછો ખેંચવા માગ કરાઈ

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) માં કરાયેલા ફેરફારોના વિરોધમાં કોંગ્રેસે ગુજરાતભરમાં ધરણા પ્રદર્શન કર્યા છે. આજે કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં યોજનામાં થયેલા બદલાવો અને નવી જોગવાઈઓનો વિરોધ કરાયો હતો. દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં મનરેગા યોજનાને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, યુપીએ સરકાર દ્વારા શરૂ કરાયેલી મનરેગા યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક ગ્રામીણ પરિવારને 100 દિવસની રોજગારીની ખાતરી આપવાનો હતો. આ કાયદાએ ગ્રામ પંચાયતોને ગામમાં કયા કામો કરવા તે નક્કી કરવાની સ્વાયત્તતા આપી હતી. કોંગ્રેસે ભાજપ સરકાર પર ગરીબ અને મજૂર વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે. પક્ષે દાવો કર્યો છે કે, સરકારે પંચાયતોના હકો છીનવી લીધા છે અને કેન્દ્ર-રાજ્ય વચ્ચે 60:40 ના નવા રેશિયોની વ્યવસ્થાથી યોજનાના અમલીકરણમાં અવરોધ ઊભો થયો છે. સરકારના 'કાળા કાયદા' વિરુદ્ધ કોંગ્રેસે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની રૂપરેખા જાહેર કરી છે. 29મી તારીખ સુધી ગામે-ગામ ગ્રામ પંચાયતોમાં સભાઓ યોજી લોકોને જાગૃત કરવામાં આવશે. 30મી તારીખે તમામ તાલુકા મથકો પર દેખાવો અને આવેદનપત્ર પાઠવવામાં આવશે, જ્યારે 31મી તારીખે જિલ્લા કક્ષાએ વિશાળ આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. કોંગ્રેસના અગ્રણીએ જણાવ્યું હતું કે, જે રીતે ખેડૂતો માટેના કાળા કાયદાઓ પરત ખેંચવા પડ્યા હતા, તેમ મનરેગા યોજનાના રક્ષણ માટે પણ સરકારે ઝૂકવું પડશે. અમે મજૂરોને તેમના હક અપાવીને જ જંપીશું. કોંગ્રેસનો દાવો છે કે, છેલ્લા 10 વર્ષમાં સરકાર 60% લોકોને પણ યોગ્ય રોજગારી આપી શકી નથી, ત્યારે 125 દિવસની રોજગારીની વાતો માત્ર પોકળ સાબિત થઈ રહી છે. આ મુદ્દે આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 3:28 pm

નવસારી LCBએ 48 લાખનો દારૂ ઝડપ્યો:ખેરગામ પાસે 10,956 બોટલ ભરેલી હાઈવા ટ્રક જપ્ત કરી

નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે. નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ખેરગામના જામનપાડા પાસેથી ₹48.58 લાખનો દારૂ અને હાઈવા ટ્રક જપ્ત કરી છે. સેલવાસથી આવતી આ ટ્રકમાંથી ₹33.58 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જોકે, ટ્રક ચાલક અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. LCBના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ગણેશભાઈ અને બ્રિજેશભાઈને બાતમી મળી હતી કે સેલવાસથી એક સફેદ કલરની ભારત બેન્ઝ હાઈવા ટ્રક (GJ-16-AU-5683) દારૂનો મોટો જથ્થો લઈને નાનાપોંઢા અને ધરમપુર થઈને વડપાડા તરફ આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે સ્ટેટ હાઈવે નંબર 177 પર જામનપાડા ચાર રસ્તા પાસે નાકાબંધી કરી હતી. શંકાસ્પદ ટ્રક આવતા પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો, પરંતુ ચાલકે ટ્રક રોકવાને બદલે વધુ ઝડપે હંકારી મૂકી. પોલીસે પીછો કરતા ટ્રક ચાલકે આશરે 300 મીટર દૂર ટ્રક ઉભી રાખી દીધી હતી. તે રોડની બાજુમાં આવેલી ઝાડી-ઝાંખરા અને આંબાવાડીમાં થઈને અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. પોલીસે શોધખોળ કરી હોવા છતાં ચાલક મળી આવ્યો નહોતો. ટ્રકની તલાશી લેતા તેમાંથી વ્હીસ્કી, વોડકા, રમ અને ટીન બીયરનો મોટો જથ્થો મળી આવ્યો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 10,956 નંગ વિદેશી દારૂ અને બીયરની બોટલોનો સમાવેશ થાય છે, જેની અંદાજિત કિંમત ₹33,58,320 છે. આ ઉપરાંત, ₹15,00,000 ની કિંમતની ભારત બેન્ઝ હાઈવા ટ્રક (GJ-16-AU-5683) પણ જપ્ત કરવામાં આવી છે. આમ, કુલ ₹48,58,320 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે ખેરગામ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં સિનિયર PI વી.જે. જાડેજા, PI એસ.વી. આહીર, PSI વાય.જી. ગઢવી, PSI એમ.બી. ગામીત અને LCBના અન્ય કર્મચારીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 3:14 pm

પૂરઝડપે આવતી કાર આંખના પલકારમાં પલટી, CCTV:ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ, સદનસીબે જાનહાનિ ટળી

હળવદ-મોરબી હાઈવે પર ચરાડવા ગામ નજીક ગઈકાલે રાત્રે એક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પેટ્રોલ પંપ પાસેના થાંભલા સાથે અથડાઈ હતી. જે બાદ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલકને ઈજા પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, કાર ચાલક પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી કાર રોડ સાઈડમાં આવેલા પેટ્રોલ પંપ નજીક એક થાંભલા સાથે જોરદાર રીતે અથડાઈ હતી, જેના કારણે થાંભલો તૂટી પડ્યો હતો અને કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલકને ઈજા પહોંચી છે જેથી ઘાયલ થયેલા કાર ચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 3:09 pm

બોડેલી પોલીસે રૂ. 5.32 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:મોડાસર ચોકડી પાસેથી બોલેરો ગાડીમાંથી મુદ્દામાલ જપ્ત

બોડેલી પોલીસે મોડાસર ચોકડી પાસેથી રૂ. 5,32,800/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. એક બોલેરો પિકઅપ ગાડીમાંથી આ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 13,32,800/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટા ઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે. બોડેલી પોલીસને બાતમી મળી હતી કે, MP 46 ZH 1666 નંબરની બોલેરો પિકઅપ ગાડીમાં વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે બોડેલી પોલીસે મોડાસર ચોકડી પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમી મુજબની ગાડી આવતા તેને રોકવાનો ઈશારો કરાયો હતો. જોકે, ચાલક ગાડી ભગાવીને આગળ જઈ ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 3120 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 5,32,800/- આંકવામાં આવી છે. પોલીસે વિદેશી દારૂ અને બોલેરો પિકઅપ ગાડી સહિત કુલ રૂ. 13,32,800/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 2:48 pm

અમરેલી જિલ્લાને સ્માર્ટ GIDC મળશે:સાવરકુંડલાના બોઘરિયાણીમાં 41 હેક્ટર પર પ્રોજેક્ટ વિકસાવાશે

રાજકોટમાં યોજાયેલી રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સાત જિલ્લાઓ માટે સ્માર્ટ GIDCની જાહેરાત કરી હતી. આ જાહેરાત અંતર્ગત અમરેલી જિલ્લાના સાવરકુંડલાને નવી સ્માર્ટ GIDC ફાળવવામાં આવી છે. આ પ્રોજેક્ટ સાવરકુંડલા તાલુકાના બોઘરિયાણી (ધજડી) ખાતે 41 હેક્ટર જમીન પર વિકસાવવામાં આવશે. આ સ્માર્ટ GIDC દ્વારા સૌરાષ્ટ્રમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. તે ઔદ્યોગિક રોકાણ, સ્થાનિક રોજગાર નિર્માણ અને સર્વાંગી વિકાસમાં મદદરૂપ થશે. સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાળા સહિતના લોકપ્રતિનિધિઓએ આ મંજૂરીને આવકારી છે, જેનાથી વિસ્તારમાં ઉત્સાહનો માહોલ છે. અમરેલી જિલ્લા ભાજપના અગ્રણી રીતેષ સોનીએ આ અંગે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટથી સાવરકુંડલાને ઔદ્યોગિક નગર બનાવવાનો સંકલ્પ સાકાર થશે. તેમણે ઉમેર્યું હતું કે, આનાથી રોજગારીની તકો વધશે અને વિકાસને ગતિ મળશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ગુજરાતના લોકપ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 2:45 pm

નવસારી પોલીસે દિવ્યાંગ બાળકો સાથે પતંગ ઉત્સવ ઉજવ્યો:SP રાહુલ પટેલ સહિતના અધિકારીઓ ટ્રાફિક કચેરીએ જોડાયા

નવસારી જિલ્લા પોલીસે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે એક પ્રશંસનીય પહેલ કરી છે. જિલ્લા ટ્રાફિક કચેરી ખાતે મમતા મંદિરના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય દિવ્યાંગ બાળકોને સમાજની મુખ્ય ધારામાં લાવવાનો અને તેમને ઉત્સવનો આનંદ આપવાનો હતો. આ પતંગ ઉત્સવમાં નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક (SP) રાહુલ પટેલ, DYSP અને PI સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ માત્ર મહેમાન તરીકે નહીં, પરંતુ બાળકોના સાથી બનીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. ડીજેના તાલે ગુંજતા સંગીત વચ્ચે પોલીસ અધિકારીઓ પણ બાળકો સાથે મન મૂકીને ઝૂમ્યા હતા, જેનાથી વાતાવરણમાં અનેરો ઉત્સાહ છવાઈ ગયો હતો. પોલીસ વિભાગ દ્વારા બાળકો માટે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. દરેક દિવ્યાંગ બાળકને પતંગ અને ફિરકીની કીટનું વિતરણ કરાયું હતું. ઉત્તરાયણના પર્વ નિમિત્તે બાળકો માટે લાડુ અને પૌષ્ટિક નાસ્તાની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળકોએ ખુલ્લા આકાશમાં પતંગ ચગાવીને તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. નવસારી જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર, દિવ્યાંગ બાળકો સમાજનો અભિન્ન અંગ છે. મોટાભાગે આ બાળકો સામાજિક ઉત્સવોથી દૂર રહેતા હોય છે, પરંતુ તેમને પણ અન્ય નાગરિકોની જેમ ઉત્સવ માણવાનો પૂરો હક છે. તેઓ પણ સમાજનો હિસ્સો છે તેવો અનુભવ કરાવવો એ જ અમારો ઉદ્દેશ્ય છે. આ કાર્યક્રમ દ્વારા નવસારી પોલીસે સાબિત કર્યું છે કે ખાખી વર્દી માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જ નથી, પરંતુ જરૂર પડ્યે સંવેદનશીલ બની સમાજની સાથે ખભેખભા મિલાવીને ચાલવા માટે પણ છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 2:41 pm

સ્વામી વિવેકાનંદની 164મી જન્મજયંતિ: રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવાયો:એમ.પી. શાહ કોલેજે 'રન ફોર સ્વદેશી' રેલીનું આયોજન કર્યું

સ્વામી વિવેકાનંદજીની 164મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે 'રન ફોર સ્વદેશી' અંતર્ગત સ્વદેશી દોડ સંકલ્પ રેલીનું આયોજન કરાયું હતું. રાજકોટની શ્રી એમ.પી. શાહ કોમર્સ કોલેજ દ્વારા ઇનોવેશન ક્લબ અને સ્વદેશી જાગરણ મંચના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો. 'કેન ડુ એક્ટિવિટી' અંતર્ગત આ ઉજવણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારણી સદસ્ય ડો. નિલેશ ત્રિવેદી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના આચાર્ય ડો. દિલીપ વજાણી પણ હાજર રહ્યા હતા. સ્વદેશી સંકલ્પ દોડ એમ.પી. શાહ કોમર્સ કોલેજથી શરૂ થઈ એસ.એમ.વી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિરે પૂર્ણ થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ જોડાયા હતા. ડો. નિલેશ ત્રિવેદીએ યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજીના જીવન અને સંદેશાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને સંઘર્ષમય જીવન જીવી પોતાના પંથને ઉજ્જવળ બનાવવા અને 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવના કેળવવા પ્રેરણા આપી હતી. આ ઉપરાંત, તેમણે સ્વદેશી વસ્તુઓ અપનાવવા અને આત્મનિર્ભર બની ભારતની આર્થિક સ્થિતિ સુધારવા માટેના પગલાંઓ વિશે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું, જેનાથી વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા હતા.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 2:39 pm

પડાણામાં પતંગ ઉડાવતા 10 વર્ષના બાળકનું વીજ કરંટથી મૃત્યુ:ખુલ્લા પગે ભીની જમીન પર પતંગ ઉડાવી રહેલા બાળકનો પતંગ તારમાં ફસાઈ જતાં દુર્ઘટના

જામનગરના લાલપુર તાલુકાના પડાણા પાટીયા પાસે પતંગ ઉડાવતી વખતે વીજ કરંટ લાગવાથી દસ વર્ષના બાળકનું મૃત્યુ થયું છે. ભીની જમીન પર પતંગ ઉડાવી રહેલા બાળકનો પતંગ વીજ તારમાં ફસાઈ જતાં આ દુર્ઘટના બની હતી. સારવાર દરમિયાન બાળકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મૃતક બાળકનું નામ રોહિત બારીયા (ઉંમર 10 વર્ષ) છે. તે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ લાલપુર તાલુકાના પડાણા ગામના પાટીયા પાસે મજૂરી કામ કરતા કમજીભાઈ અદુભાઈ બારીયા (ઉંમર 40)નો પુત્ર હતો. આ ઘટનાથી શ્રમિક પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગત 1 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 10 વાગ્યાના અરસામાં રોહિત પડાણા ગામના પાટીયા પાસે ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાવી રહ્યો હતો. જમીન ભીની હતી અને તે ખુલ્લા પગે પતંગ ઉડાવી રહ્યો હતો. આ દરમિયાન તેનો પતંગ ઉપરથી પસાર થઈ રહેલી વીજ લાઈનમાં ફસાઈ ગયો હતો. પતંગ વીજ તારમાં ફસાતા રોહિતને એકાએક વીજ કરંટ લાગ્યો અને તે બેભાન થઈ ગયો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં 5 જાન્યુઆરીના રોજ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. આ બનાવ અંગે મૃતક બાળકના પિતા કમજીભાઈ બારીયાએ પોલીસને જાણ કરી હતી. મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.એમ. થાનકી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે બાળકના મૃતદેહનો કબજો સંભાળીને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 2:29 pm

ઓલપાડના મહિલા નાયબ મામલતદારે આત્મહત્યા કરી:રાંદેરમાં પોતાના ઘર પર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી, કારણ અકબંધ

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને ગમખ્વાર ઘટના સામે આવી છે, જેમાં ઓલપાડ કચેરીમાં ફરજ બજાવતા મહિલા નાયબ મામલતદાર હીનીષા પટેલે પોતાના જ ઘરમાં આપઘાત કરી લીધો છે. હીનીષા પટેલે રાંદેર સ્થિત પોતાના નિવાસસ્થાને બેડરૂમની અંદર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને જીવન લીલા સંકેલી લીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ મહેસૂલ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. પતિ પણ નાયબ મામલતદારમળતી માહિતી મુજબ, હીનીષા પટેલના પતિ પણ મહેસૂલ વિભાગમાં જ ફરજ બજાવે છે અને તેઓ હાલ ઓલપાડ પ્રાંત કચેરીમાં નાયબ મામલતદાર તરીકે કાર્યરત છે. પતિ-પત્ની બંને એક જ વિભાગમાં જવાબદાર હોદ્દા પર હોવા છતાં, કયા સંજોગોમાં મહિલા અધિકારીએ આ પગલું ભર્યું તે વાતથી સૌ કોઈ સ્તબ્ધ છે. હીનીષા પટેલ ઓલપાડ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા હોવાથી ત્યાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ તપાસ અને કાર્યવાહીઘટનાની જાણ થતા રાંદેર પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી પ્રાથમિક તપાસમાં કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. હીનીષા પટેલે અંગત કારણોસર કે કામના ભારણને લીધે આ પગલું ભર્યું છે, તે દિશામાં પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 2:23 pm

શાસક-વિપક્ષ વચ્ચે તડાફડીની શક્યતા:રાજકોટ મનપામાં 20 જાન્યુઆરીએ ચૂંટણી પૂર્વેનું સંભવત: છેલ્લું જનરલ બોર્ડ, 1થી 5 ક્રમે ભાજપનાં 5 કોર્પોરેટરોનાં 10 સરકારી પ્રશ્નો, પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા નહીં થાય

આગામી ફેબ્રુઆરીમાં રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીઓ જાહેર થવાની શક્યતા છે. ત્યારે ભાજપનાં શાસકો દ્વારા આગામી 20 જાન્યુઆરીનાં દ્વિમાસિક જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે. વર્તમાન શાસકોનાં આ સંભવત: છેલ્લા જનરલ બોર્ડમાં પણ પ્રથમ 1થી 5 ક્રમે ભાજપનાં 5 કોર્પોરેટરોનાં 10 સરકારી પ્રશ્નો મુકવામાં આવ્યા છે. ત્યારબાદ વિપક્ષનાં નગરસેવક વશરામભાઈ સાગઠિયાનો પ્રશ્ન છે. જોકે બે મહિને 1 કલાક મળનારા જનરલ બોર્ડમાં માંડ બે-ત્રણ પ્રશ્નોની ચર્ચા કરાતી હોય છે. ત્યારે વિપક્ષનાં પ્રજાલક્ષી કોઈપણ પ્રશ્નોની ચર્ચાઓ આગામી બોર્ડમાં થાય તેવી શક્યતા નથી. આ કારણે જ આગામી જનરલ બોર્ડમાં શાસક અને વિપક્ષની વચ્ચે તડાફડી થવાની પૂરતી શક્યતા છે. આજરોજ મેયર નયનાબેન પેઢડીયા દ્વારા જનરલ બોર્ડ માટેનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ ક્રમે ભાજપના કોર્પોરેટર દક્ષાબેન વસાણીએ અમૃત યોજના અને સ્વર્ણિમ યોજના હેઠળ મળવાપાત્ર ગ્રાન્ટ અને મળેલી ગ્રાન્ટ અને તે અંતર્ગત હાથ ધરવામાં આવેલ કામની વિગતો માંગી છે. જ્યારે બીજા ક્રમે ભાજપના જ રુચિતાબેન જોષીએ સ્ટ્રીટ લાઈટ અને વોર્ડ વાઇઝ નવા બનેલા રોડ-રસ્તાની વિગતો માંગી છે. ત્રીજા ક્રમેં પણ ભાજપના કોર્પોરેટર કંકુબેન ઉધરેજાએ ટાઉન પ્લાનિંગ હસ્તકના ખુલ્લા પ્લોટની વોર્ડ વાઇઝ માહિતી ઉપરાંત વોર્ડ વાઇઝ આંગણવાડીઓ અને તેમાં અપાતા નાસ્તા જેવી વિગતો પૂછી છે. ચોથા ક્રમે ભાજપના નગરસેવક વિનુભાઈ સોરઠીયા દ્વારા આરોગ્ય વિભાગને છેલ્લા 2 વર્ષમાં મળેલી ગ્રાન્ટ અને તેનો ઉપયોગ કઈ રીતે થયો છે તેની માહિતી માંગી છે. તેમજ ફાયર વિભાગ પાસે હાલમાં ક્યાં અને કેટલા વાહનો છે તેનો આકસ્મિક સંજોગોમાં કેવી રીતે પ્રયોગ કરવામાં આવે છે તે પૂછ્યું છે. પાંચમા ક્રમે ભાજપના જ કોર્પોરેટર દક્ષાબેન વાઘેલા દ્વારા મનપા હસ્તકની તમામ મિલ્કતો અને તેના ઉપયોગ અંગેની માહિતી ઉપરાંત મનપા હસ્તકની લાયબ્રેરી અને તેમાં નોંધાયેલા સભ્યોની વિગતો પૂછવામાં આવી છે. ભાજપનાં 5 કોર્પોરેટરોનાં આ 10 પ્રશ્નો બાદ વિપક્ષનાં નગરસેવક વશરામ સાગઠિયાએ ટીપી વિભાગની સામે સવાલો ઉઠાવ્યા છે. જેમાં 11-11-2025 સુધીમાં 49 બિલ્ડીંગની સ્થળ તપાસ કરીને માત્ર 8 બાંધકામોને જ ભોગવટા પ્રમાણપત્રો અપાયા છે. તેમાંથી કેટલા માટેના રૂપિયા ભરાયા ? અને નથી ભરાયા તેની સામે શુ પગલાં લેવાયા ? અથવા ન લીધા હોય તો શું પગલાં લેવા માંગો છો ? તેમજ 12-11-2025થી 12-01-2026 સુધીમાં ફ્લાવર બેડનાં કારણે કેટલી મિલ્કતઓને ભોગવટાની પરવાનગી આપવામાં આવી ? જેવા ઘગ્ઘગતા સવાલો ઉઠાવ્યા છે. જોકે વિપક્ષના આ પ્રશ્નની જનરલ બોર્ડમાં ચર્ચા થવાની શક્યતા નથી. આ ઉપરાંત 12માં ક્રમે વિપક્ષના કોર્પોરેટર કોમલબેન ભારાઈએ પણ કોર્પોરેશનની શાળા નંબર 99 છેલ્લા 2008થી ભાડાનાં મકાનમાં ચાલતી હોવા અંગે તેમજ ટીપી વિભાગે મારેલા સીલ જાતે ખોલીને બાંધકામ શરૂ કરે તેની સામે થતી કાર્યવાહીની વિગતો પૂછી છે. જ્યારે 14માં ક્રમે કોંગી નગરસેવક મકબુલ દાઉદાણીએ પણ મનપાનાં ઈજનેર ઉપર થયેલા હુમલા અંગે કરવામાં આવેલ કાર્યવાહીની વિગતો માંગી છે. તેમજ મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો અટકાવવા માટેના જે પગલાં લેવામાં આવ્યા તેની વિગતો પૂછવામાં આવી છે. આગામી જનરલ બોર્ડમાં જુદી-જુદી 12 દરખાસ્તોનો નિર્ણય પણ લેવામાં આવનાર છે. જેમાં મુખ્યત્વે 200 કરોડ રૂપિયા લોન કે ઓવરડ્રાફ્ટ દ્વારા મેળવવા માટેની સ્ટેન્ડિંગમાં મંજુર થયેલી દરખાસ્ત, રેલવે જંકશન સામે દૂર કરવામાં આવેલ દુકાનમાલિકો માટે વૈકલ્પિક જગ્યા ફાળવવા, વોર્ડ નંબર 12 ખાતેની મનસુખભાઇ છાપીયા ટાઉનશીપની દુકાનો હરરાજીથી આપવા, તેમજ સફાઈ કામદારોનાં વારસદારોને નોકરી આપવા સહિત અગાઉ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર થયેલી દરખાસ્તો ઉપરાંત જુદા જુદા નામકરણ સહિત દરખાસ્તો અંગે ફાઇનલ નિર્ણય આગામી જનરલ બોર્ડમાં લેવામાં આવશે. નોંધનીય છે કે, આગામી જનરલ બોર્ડની બેઠક સંભવત: ચૂંટણી પૂર્વેની છેલ્લી મિટિંગ હોવા છતાં પ્રથમ 5 ક્રમમાં શાસક પક્ષનાં 10 પ્રશ્નો છે. આ કારણે છેક 11માં ક્રમમાં રહેલા વિપક્ષ નેતા વશરામ સાગઠિયાનાં પ્રશ્ન અંગે ચર્ચા થવાની શક્યતા નથી. જેને લઈને પોતાના પ્રશ્નોની ચર્ચા કરવા માટે તેઓ દ્વારા અવાજ ઉઠાવવામાં આવશે. તો નિયમોનું બહાનું ધરીને ભાજપ દ્વારા તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરવાનું ટાળવામાં આવશે. જેને લઈને શાસક અને વિપક્ષનાં નગરસેવકો વચ્ચે ભારે તડાફડી થવાની પૂરતી શક્યતા છે. ત્યારે આગામી જનરલ બોર્ડમાં ભારે ઘર્ષણ અને આક્ષેપ-પ્રતિ આક્ષેપો જોવા મળે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 2:22 pm

પાણેથામાં રેતીના ભારે વાહનો પર પ્રતિબંધ યથાવત્:ગ્રામસભાએ સર્વાનુમતે ઠરાવ કરી DDOને આવેદન આપ્યું

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામમાં રેતીના ભારે વાહનો પર પ્રતિબંધ યથાવત્ રાખવા ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને આવેદનપત્ર આપ્યું છે. સરપંચ સહિતના ગ્રામજનોએ સ્મશાન-કબ્રસ્તાન તરફ જતા ખેડૂતોના સ્થાનિક રસ્તા પરથી રેતીના વાહનો કાયમી ધોરણે બંધ કરવાની માંગ કરી છે. ગ્રામસભાએ ખેડૂતોના સ્થાનિક ખેતી માર્ગ પરથી રેતી ભરેલા અતિ ભારે વાહનોની અવરજવર બંધ રાખવાનો સર્વાનુમતે નિર્ણય યથાવત્ રાખ્યો છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, છેલ્લા ચાર માસથી ઓવરલોડ અને રોયલ્ટી વગરની ભીની રેતીના વાહનો પસાર થવાથી ખેતીના માર્ગોને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત, ખેડૂતોના પાકને ધૂળ લાગવાથી કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ગ્રામ પંચાયત મુજબ, પાણેથા ગામમાં કોઈ રેતીની ક્વોરી લીઝ મંજૂર નથી. અન્ય ગામો અને જિલ્લાની લીઝ ધરાવતા વાહનો આ ખેતી માર્ગોનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા છે. આ માર્ગોનો ઉપયોગ સ્મશાન, કબ્રસ્તાન તેમજ 500 થી વધુ ખેડૂતો અને ખેતમજૂરો કરે છે. ભારે વાહનોના કારણે જાહેર સલામતીને જોખમ ઊભું થતાં પંચાયતે નટ-બોલ્ટવાળા બેરીકેટ લગાવી માત્ર રેતીના ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. ગ્રામસભાએ સ્પષ્ટતા કરી છે કે રસ્તો સંપૂર્ણ બંધ કરાયો નથી. તે ખેડૂતોના ખેતી કામ, પાક વહન તથા આવશ્યક સેવાઓ માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસૂચિત આદિજાતિ વિસ્તાર અને PESA અધિનિયમ- 1996 તથા ગુજરાત પંચાયત અધિનિયમ-1993 હેઠળ ગ્રામસભાના અધિકારો મુજબ લેવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતે સક્ષમ અધિકારીઓને નિયમ મુજબ મંજૂરી આપવા વિનંતી કરી છે. જાહેર હિત,ખેતી પાકના સંરક્ષણ અને માર્ગ સલામતી માટે રેતીના ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ અત્યંત આવશ્યક હોવાનું પંચાયતે જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 2:22 pm

યુનિવર્સિટીમાં કોપી કેસ મુદ્દે કમિટીની બેઠક:378 વિદ્યાર્થીઓની રૂબરૂ સુનાવણી, અંતિમ નિર્ણય બોર્ડ ઓફ મેનેજમેન્ટ લેશે

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન કોપી કરતા ઝડપાયેલા 378 વિદ્યાર્થીઓ માટે માલ પ્રેક્ટિસ એક્ઝામિનેશન કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિદ્યાર્થીઓની રૂબરૂ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પ્રથમ અને બીજા તબક્કાની પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ સામે શિસ્તભંગના પગલાં લેવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. કમિટી સમક્ષ હાજર થયેલા તમામ વિદ્યાર્થીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન, વિદ્યાર્થીઓ પાસેથી જપ્ત કરાયેલા ડોક્યુમેન્ટ્સ અને અન્ય પુરાવાઓની કમિટીના સભ્યો દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. કમિટીએ આ સમગ્ર મામલે પોતાની કામગીરી પૂર્ણ કરી છે. હવે આ અંગેનો અહેવાલ બોર્ડ ઓફ મેનેજમેન્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને થનારી સજા કે અન્ય શિક્ષાત્મક પગલાં અંગેનો આખરી નિર્ણય આગામી સમયમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવશે. આ કમિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય દિલીપ ચૌધરી અને કોકિલાબેન પરમાર, ઈસી મેમ્બર જગદીશ પ્રજાપતિ (પ્રિન્સિપાલ) તેમજ પરીક્ષા નિયામક મિતુલ દેલિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સુનાવણીની સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરી હતી.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 2:11 pm

થોર ટીમે SSRPL વિન્ટર ટુર્નામેન્ટ જીતી:સ્પાઈડરમેનને હરાવી ટ્રોફી પર કબજો કર્યો

SSRPL વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ 2026ની ફાઇનલ મેચ આજે રમાઈ હતી, જેમાં થોર ટીમે વિજય મેળવી ટ્રોફી જીતી લીધી હતી. આ અંતિમ મુકાબલો થોર અને સ્પાઈડરમેન ટીમો વચ્ચે સાઉથ બોપલ સ્થિત સન સાઉથ રેયઝ ગ્રાઉન્ડ પર યોજાયો હતો. 12 ઓવરની આ રોમાંચક મેચમાં બંને ટીમો ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરી હતી. આખરે, થોર ટીમે સ્પાઈડરમેન ટીમને હરાવી ભવ્ય વિજય મેળવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 2:10 pm

ડોરબેલ વગાડનારા માસૂમ બાળકને જમીન પર પટકી પટકીને માર્યો, CCTV:ઘટના સમયે હાજર અન્ય બાળકો ફફડી ઉઠ્યા, ક્રુરતા આચરનારી સુરતની મહિલા સામે ફરિયાદ

સુરતના સરથાણા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. યોગીચોક વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં માત્ર ડોરબેલ વગાડવા જેવી નજીવી બાબતે એક મહિલાએ સાત વર્ષના માસૂમ બાળક પર અત્યંત ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું છે સમગ્ર ઘટના? મળતી માહિતી મુજબ, સરથાણાના યોગીચોક વિસ્તારમાં આવેલી સિલિકોન રેસીડેન્સીમાં સુધીરભાઈ વઘાસિયા પરિવાર સાથે રહે છે. તેમનો સાત વર્ષનો પુત્ર દેવાંશ સોસાયટીમાં રમી રહ્યો હતો. રમતા-રમતા બાળકોએ પડોશમાં રહેતા અપેક્ષાબેન નામની મહિલાના ઘરની ડોરબેલ વગાડી હતી. માત્ર આટલી વાતથી ઉશ્કેરાયેલી મહિલાએ પિત્તો ગુમાવ્યો હતો અને માસૂમ દેવાંશ પર તૂટી પડી હતી. મહિલાએ બાળકને પકડીને જમીન પર પટક્યો હતો અને ત્યારબાદ તેને નિર્દયતાથી ઢસડ્યો હતો. બાળકને ગંભીર ઇજાઓ આ હુમલામાં માસૂમ દેવાંશને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી છે. બાળકને જમીન પર ઢસડવાને કારણે તેના પગમાં ગંભીર ઈજાઓ થઈ છે. માર મારવાને કારણે દેવાંશનો જમણો પગ સોજી ગયો છે. બાળકના પેટના ભાગે પણ ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. સીસીટીવીમાં કેદ થઈ ક્રૂરતા સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં મહિલાની આ હેવાનિયત સ્પષ્ટપણે કેદ થઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે મહિલા કઈ રીતે બાળકને પકડીને પછાડે છે અને ખેંચીને લઈ જાય છે. આ વીડિયો વાયરલ થતા લોકોમાં મહિલા સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. પરિવારની ન્યાય માટે માંગ બાળકના પિતા સુધીરભાઈ વઘાસિયાએ આ મામલે તુરંત સરથાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો છે અને મહિલા વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી છે. પરિવારના સભ્યોની એક જ માંગ છે કે, એક માસૂમ બાળક સાથે આવું અમાનવીય વર્તન કરનાર અપેક્ષાબેન સામે પોલીસ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરે જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ બાળક પર હાથ ઉપાડતા પહેલા સો વાર વિચારે. 9 જ્નાયુઆરીના રોજ રાત્રે ઘટના બની હતી સુધીરભાઈ વઘાસિયાએ જમાવ્યું હતું કે, સિલિકોન રેસીડેન્સીમાં રહું છું. મારા છોકરાને 9 તારીખે સાંજે 9 થી 10 ના ગાળામાં ઢોર માર મારવામાં આવ્યો છે. તો મને ખ્યાલ નહોતો, 10 વાગે હું નીચે ઉતર્યો, કલાક પછી મને ખબર પડી. ત્યાં મને બાળકોએ કીધું કે તમારા છોકરાને માર્યો છે. એટલે મેં એના ગાલ ઉપર ચાંભા પડી ગયા હતા અને મેં એને જોયું કે ભાઈ ગાલ ઉપર ચાંભા પડી ગયા છે, આંખ સોજી ગઈ છે. એટલા માટે મેં સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે મારા સી-3 બિલ્ડીંગના પ્રમુખને મેં જાણ કરી કે મારા છોકરાને માર માર્યો છે, મારે સીસીટીવી કેમેરા જોવા છે. ઢસડીને લાવી અને માર માર્યો પ્રમુખે મને બીજે દિવસે સાંજે સીસીટીવી કેમેરા જોયા, ઓફિસમાં મેઈન કેમેરો છે એ ચેક કર્યો અને અમારી બિલ્ડીંગની નીચે કેમેરો ચેક કર્યો. તો ઢસડીને ખૂણામાંથી લાવે છે પીલર પાસે, ત્યાં પહેલા ઢસડીને ત્યાં લાવે છે ત્યારે માર મારે છે. ત્યારે ઢસડીને લાવ્યા પછી પીલર પાસે એને ઘા કરે છે અને માર મારે છે. માર માર્યા પછી ઈ સીસીટીવી ફૂટેજમાં રેકોર્ડ છે. એટલે અમે બીજે દિવસે સરથાણા પોલીસ સ્ટેશનમાં સવારમાં કમ્પ્લેન કરી કે મારા છોકરાને ઢોર માર માર્યો છે. કહેવા ગયા તો ધમકી આપી કે હજુ માર મારીશ મારા વાઈફને સવારમાં બીજે દિવસે એને કહેવા ગયા કે મારા છોકરાને તમે આટલો બધો કેમ માર્યો? તો એ લેડીઝે એવું કીધું કે હજી મારો ડોરબેલ મારશે તો હજી હું એને મારીશ. એટલે અમે પછી કમ્પ્લેન કર્યા ત્યાર પછી હજી હું આગળ કાર્યવાહીની માંગ કરું છું કે મારા છોકરાને ન્યાય મળે અને કાયદો કાયદાનું કામ કરે. અમે કોઈ ઝગડો નથી કર્યો, અમે તેને કીધું નથી કઈ, અમે કાયદાને માનીએ છીએ અને કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી માંગ છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 2:07 pm

બ્રાઇટ સ્કૂલ વાસણા GSEBનો 25મો વાર્ષિક રમતોત્સવ:શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ઉત્સાહ અને શિસ્તબદ્ધ વાતાવરણમાં ઉજવાયો

ધ બ્રાઇટ સ્કૂલ (વાસણા – GSEB) દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટેનો ૨૫મો વાર્ષિક રમતોત્સવ ઉત્સાહ અને શિસ્તબદ્ધ વાતાવરણમાં યોજાયો. આ કાર્યક્રમની શરૂઆત ચાર હાઉસ – અર્જુન, અશોક, પ્રતાપ અને શિવાજી – દ્વારા ભવ્ય પરેડથી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓની એકતા અને શાળા પ્રત્યેનું ગૌરવ જોવા મળ્યું. રમતોત્સવની જ્યોત પ્રગટાવવાની વિધિ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ હતી. ત્યારબાદ, રમત માટેની શપથવિધિ યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓએ રમતોત્સવના નિયમો અને રમતભાવનાનું પાલન કરવાનો સંકલ્પ લીધો. શાળાના પ્રમુખ શ્રી સૌમિલ શાહ દ્વારા રમતોત્સવને સત્તાવાર રીતે ખુલ્લો જાહેર કરવામાં આવ્યો, જેના પછી વિવિધ રમતગમત સ્પર્ધાઓનો પ્રારંભ થયો. આ કાર્યક્રમમાં ફ્રી હેન્ડ ડ્રિલ, ડમ્બેલ્સ અને લેઝિયમ વ્યાયામ, યોગ પ્રદર્શન તેમજ ઝુંબા નૃત્ય જેવી વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. યોગ રચનામાં વિદ્યાર્થીઓએ '૨૫' આકાર બનાવી શાળાની રજત જયંતિની ઉજવણી કરી. આ પ્રસ્તુતિઓએ વિદ્યાર્થીઓની શારીરિક ક્ષમતા અને તાલીમનું પ્રદર્શન કર્યું. ત્યારબાદ, દોડ સ્પર્ધા, રિલે રેસ, હર્ડલ રેસ અને બાસ્કેટબોલ ડ્રિબ્લિંગ રેસ જેવી મેદાની સ્પર્ધાઓ યોજાઈ. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની રમતકુશળતા દર્શાવી. સ્પર્ધાના વિજેતાઓને શાળાના પ્રમુખ શ્રી સૌમિલ શાહ અને પ્રિન્સિપાલ દ્વારા મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમના અંતે આભારવિધિ કરવામાં આવી, જેમાં શાળા વ્યવસ્થાપન, શિક્ષકો, રમત શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહકાર તથા મહેનત બદલ પ્રશંસા વ્યક્ત કરવામાં આવી. આ સહકારને કારણે રમતોત્સવ સફળ અને યાદગાર બન્યો.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 2:05 pm

એક વર્ષમાં 1.83 લાખ મહિલા-યુવતી અને વિદ્યાર્થિનીઓએ અભયમની મદદ માગી:મહેસાણામાં હેલ્પ માટે 4558 કોલ્સ મળ્યા, સૌથી વધુ ઘરેલુ હિંસાના કેસ

સમગ્ર વિશ્વ અને દેશમાં મહિલાઓ પર થતા અત્યાચારો અને સામાજિક સમસ્યાઓ ચિંતાનો વિષય બની રહી છે, ત્યારે ગુજરાત રાજ્યમાં કાર્યરત '181 અભયમ' મહિલા હેલ્પલાઈન પીડિત મહિલાઓ માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. રાજ્યભરમાં છેલ્લા એક વર્ષમાં 1,83,520 જેટલા કોલ્સ મળ્યા હતાં. જેમાંથી 37,380 કિસ્સાઓ અત્યંત સંવેદનશીલ હોવાનું નોંધાયું છે. આ કતારમાં મહેસાણા જિલ્લો પણ પાછળ નથી, જ્યાં હજારો મહિલાઓએ મુશ્કેલીના સમયે આ હેલ્પલાઈનનો ભરોસો કર્યો છે. સૌથી વધુ ઘરેલુ હિંસા અને જાતીય સતામણીના કેસોમહેસાણા જિલ્લાના આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા એક વર્ષમાં મહિલાઓ, યુવતીઓ અને વિદ્યાર્થિનીઓ તરફથી મદદ માટે કુલ 4558 કોલ્સ મળ્યા હતા. અભયમની ટીમે તમામ કિસ્સાઓમાં ત્વરિત પ્રતિસાદ આપી પોતાની ફરજ નિભાવી હતી. આ કોલ્સમાં સૌથી વધુ ચોંકાવનારો આંકડો ઘરેલુ હિંસાનો છે, જેમાં 2,387 મહિલાઓ ઘરકંકાસ કે હિંસાનો ભોગ બની હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત 574 મહિલાઓએ જાતીય સતામણી અંગે પોતાની ફરિયાદ નોંધાવી મદદ માંગી હતી. પીડિત મહિલાઓની વહારે 181 અભયમ ટીમ આવી181 અભયમની ટીમ દિવસ હોય કે રાત, 24 કલાક સતત ખડેપગે રહીને પીડિત મહિલાઓ સુધી પહોંચી છે. માત્ર ઘટનાસ્થળે પહોંચવું જ નહીં, પરંતુ મહિલાઓની માનસિક સ્થિતિ સમજીને અસરકારક કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. ટીમે સામાજિક સ્તરે પ્રશ્નો ઉકેલવા માટે સામેવાળા પક્ષનું પણ કાઉન્સેલિંગ કરી સમાધાનકારી માર્ગ અપનાવ્યો હતો. મહેસાણામાં 811 જેટલી મહિલાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુઆ એક વર્ષના સમયગાળા દરમિયાન મહેસાણા 181ની ટીમ દ્વારા 811 જેટલી મહિલાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તે પૈકી 481 મહિલાઓના પ્રશ્નોનું સ્થળ પર જ સુખદ સમાધાન લાવવામાં આવ્યું હતું, જ્યારે 290 મહિલાઓને વધુ સહાય કે કાયદાકીય મદદની જરૂર જણાતા અન્ય બચાવ એજન્સીઓ તરફ રીફર કરવામાં આવી હતી. આમ, મહેસાણા જિલ્લામાં મહિલા સુરક્ષા માટે 181 અભયમ હેલ્પલાઈન એક મજબૂત કવચ તરીકે ઉભરી આવી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 1:59 pm

રાઇખડ પ્રી-સ્કૂલના બાળકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી:વિવિધ ફૂલો વિશે જાણ્યું, પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ વધી

અમદાવાદના રાઇખડ વિસ્તારમાં આવેલી સંજીવની ફાઉન્ડેશન પ્રી-સ્કૂલના બાળકોને ફ્લાવર શોની મુલાકાત કરાવવામાં આવી હતી. આ શૈક્ષણિક પ્રવાસનો હેતુ બાળકોને પ્રકૃતિ અને વિવિધ ફૂલો વિશે માહિતગાર કરવાનો હતો. મુલાકાત દરમિયાન, બાળકોએ રંગબેરંગી ફૂલો જોયા અને ખૂબ ખુશ થયા. શિક્ષકોએ તેમને ફૂલોના નામ, રંગ અને ઉપયોગ વિશે સરળતાથી સમજાવ્યું. આ પ્રવાસ બાળકો માટે આનંદ સાથે શીખવાનો એક સુંદર અનુભવ બન્યો. શાળાની ટીમે બાળકોમાં પ્રકૃતિ પ્રત્યે રસ અને જાગૃતિ વધારવા માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 1:55 pm

રાહી ફાઉન્ડેશન 800થી વધુ શ્રમજીવીઓને ખીચડી-છાશનું વિતરણ:આંગણવાડી કેન્દ્ર, મીરા ટૉકીઝ પાસેના પરિવારોને લાભ મળ્યો

રાહી ફાઉન્ડેશન દ્વારા તેના 209મા ખીચડી વિતરણ પ્રોજેક્ટ અંતર્ગત 800થી વધુ શ્રમજીવી પરિવારો અને તેમના બાળકોને વેજિટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ આંગણવાડી કેન્દ્ર, મીરા ટૉકીઝ પાસે, ભૈરવનાથ રોડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમના આયોજનમાં શ્રી રાજેશભાઈ અને બેલાબેન પરીખ પરિવારે સહયોગ આપ્યો હતો. રાહી ફાઉન્ડેશનના સભ્યો જયેશ પરીખ, નિહારિકા પરીખ, ભદ્રેશ પટેલ, મહેન્દ્ર પટેલ, સ્વપ્નિલ, બાબુલકાકા, માર્કણ્ડભાઈ, વસંતભાઈ, જ્યોત્સ્નાબેન અને વિજય દલાલે ઉપસ્થિત રહીને વિતરણ કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું. આંગણવાડી કેન્દ્રની કાર્યકર્તા બહેનોએ પણ કાર્યક્રમની વ્યવસ્થામાં સુંદર સહયોગ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 1:53 pm

મોરબીમાં પરિણીતાને ધમકી, પતિને જાતિગત અપમાનિત કર્યોં:ભાઈને ચડામણી કરતો હોવાનો વહેમ રાખી શખસે હુમલો કર્યો, એટ્રોસિટી હેઠળ ગુનો

મોરબીના જાંબુડિયા ગામે એક પરિણીતા અને તેના સાસુ પર હુમલો કરી, પતિને જાતિગત અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પરિણીતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી તાલુકાના નવા જાંબુડિયા ગામે રહેતા જ્યોતિબેન કમલેશભાઈ ખરા (ઉં.વ. 24) એ તે જ ગામના વિજય બાબુભાઈ વિંજવાડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, આરોપી વિજયનો ભાઈ પ્રકાશ ફરિયાદીના પતિ કમલેશ સાથે ફરતો હતો. પ્રકાશ પોતાના ઘરમાં ઝઘડા કરતો હોવાથી વિજયને શંકા હતી કે કમલેશ તેને ચડામણી કરે છે. આ વહેમના આધારે આરોપી વિજય ફરિયાદીના ઘર પાસે શેરીમાં આવ્યા હતા. ત્યાં તેમણે જ્યોતિબેન અને તેમના સાસુ સાથે બોલાચાલી કરી અપશબ્દો બોલ્યા હતા. એટલું જ નહીં, તેમણે બંનેને લાફા મારી મારપીટ પણ કરી હતી. આ દરમિયાન ફરિયાદીના પતિ કમલેશ ઘરમાંથી બહાર આવતા, આરોપી વિજયે તેમને જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. તેમણે કમલેશને 'મારા ભાઈ ભેગા ફરવું નહીં, નહીં તો તારા પતિને મારી નાખીને જેલમાં જતો રહીશ' તેવી ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના બાદ ભોગ બનેલા જ્યોતિબેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વિજય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસીની કલમો તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 1:49 pm

શ્રી વિદ્યાનગર હાઇસ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન:SG હાઈવે પરના ફાર્મહાઉસમાં વાર્ષિક આયોજન કરાયું

શ્રી વિદ્યાનગર હાઇસ્કૂલ (ઉસ્માનપુરા) ના ૧૯૮૪ SSC અને ૧૯૮૬ HSC બેચના પૂર્વ વિદ્યાર્થીઓનું વાર્ષિક સ્નેહમિલન ગત રવિવાર, ૪ જાન્યુઆરીના રોજ SG હાઈવે પર આવેલા મિકેશ સુરતીના ફાર્મહાઉસ ખાતે યોજાયું હતું. આ પરંપરા મુજબ દર વર્ષે જાન્યુઆરીના પ્રથમ રવિવારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ સ્નેહમિલનમાં શાળાના હાજરીપત્રકની જેમ જ અત્યાર સુધીના તમામ કાર્યક્રમોનું હાજરીપત્રક રાખવામાં આવ્યું હતું. કીર્તિદાબા રાણા દ્વારા એક પણ સ્નેહમિલન ન ચૂકાવનાર સભ્યોને વ્યક્તિગત ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. દરેક ટ્રોફી પર સભ્યોની લાક્ષણિકતા અનુસાર ઉખાણું લખેલું હતું, જેના આધારે સભ્યોએ પોતાની ઓળખ આપવાની હતી. આ ઉપરાંત, હાજરીની તર્જ પર અમુક સભ્યોને સુવર્ણ, રજત અને કાંસ્ય પદક પણ એનાયત થયા હતા. ગોધરા નિવાસી ડૉ. મનીષા મહેતાએ ગીત અને વસ્તુની જુગલબંધી પર આધારિત રમત રમાડી હતી, જેમાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સંગીત ખુરશીની રમતમાં પણ બધાએ ઉન્મુક્ત આનંદ માણ્યો હતો. મુંબઈ નિવાસી નિર્મળ શાહે સંગીતના ઉપકરણોનો મોરચો સંભાળી કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવ્યા હતા. ડૉ. મનીષ રાવલ, જેમના નિવાસસ્થાને એક અંગત સંગ્રહસ્થાન છે, તેમણે દરેકને પૌરાણિક સિક્કાની પ્રતિકૃતિ ભેટ આપી હતી. સંદીપ શાહ તરફથી દરેકને હેલ્ધી ફૂડ હેમ્પર આપવામાં આવ્યું હતું. સુરતી સભ્ય ડૉ. કિંજલ પટેલ ખાસ પોંક અને ઘારી લઈને આવ્યા હતા, જ્યારે અમેરિકાથી આવેલા દેવ શાહને બધાએ ઉમળકાભેર આવકાર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રુપ એડમિન ભવ્યા શાહ, કર્ણિક શાહ અને ખજાનચી મેહુલ શાહની પડદા પાછળની મહેનતને સૌ કોઈએ બિરદાવી હતી. અંતે, સૌએ ભોજન લીધું અને ફરીથી મળવાના સંકલ્પ સાથે છૂટા પડ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 1:46 pm

શાકોત્સવનું આયોજન:મહેસાણા SMVS સ્વામિનારાયણ મંદિરમાં હજારો ભક્તોની ઉપસ્થિતિમાં આયોજન કરાયું

મહેસાણાના મોઢેરા રોડ પર આવેલા SMVS સ્વામિનારાયણ મંદિરમાં 11 જાન્યુઆરી, 2026 રવિવારના રોજ શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં મહેસાણા જિલ્લાના હજારોથી વધુ સત્સંગી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. ગાંધીનગર સ્થિત સ્વામિનારાયણ ધામથી વડીલ સંતવર્ય પૂજ્ય ધર્મપ્રિયસ્વામીએ ઉપસ્થિત રહી સત્સંગનો લાભ આપ્યો હતો. પૂજ્ય ધર્મપ્રિયસ્વામીએ શાકોત્સવના મહત્વ વિશે પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ ભક્તોએ શાક-રોટલાની દિવ્ય પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 1:42 pm

VNSGU વિદ્યાર્થીઓએ કેમ્પસની જૈવવિવિધતાનું ડોક્યુમેન્ટેશન કર્યું:મલ્ટીડિસિપ્લિનરી વર્કશોપમાં ફોટોગ્રાફી અને ડિજિટલાઇઝેશન તાલીમ અપાઈ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય (VNSGU) ના બાયોસાયન્સ અને ફાઈન આર્ટસ વિભાગ દ્વારા પાંચ દિવસીય મલ્ટીડિસિપ્લિનરી વર્કશોપનું આયોજન કરાયું હતું. કેપ્ચરિંગ કેમ્પસ: બાયોડાયવર્સિટી હેન્ડ્સ-ઓન ફોટોગ્રાફી અને ડિજિટલાઇઝેશન ટ્રેનિંગ શીર્ષક હેઠળ આ વર્કશોપ ૬ થી ૧૦ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન યોજાયો હતો. PM-USHA MERU સોફ્ટ કમ્પોનન્ટ દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને કલાત્મક અભિવ્યક્તિનો સમન્વય કરવાનો હતો. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસની સમૃદ્ધ જૈવવિવિધતાને કેમેરામાં કેદ કરી હતી. નિષ્ણાત મેન્ટર્સ ડૉ. જય પંડ્યા, શ્રી અમિત જારીવાલા, શ્રી ધ્રુવિન જૈન, શ્રી ભૂપત જેબલિયા, શ્રી ઉમંગ ગજ્જર અને શ્રી અમન અગ્રવાલના માર્ગદર્શન હેઠળ તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન, વિદ્યાર્થીઓને મોબાઈલ, પ્રોફેશનલ DSLR કેમેરા અને માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને કેમ્પસના વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ (Flora Fauna), પક્ષીઓ, જીવજંતુઓ તેમજ સ્થાનિક અને ઔષધીય છોડની ફોટોગ્રાફીનું હેન્ડ્સ-ઓન શિક્ષણ મળ્યું હતું. આ ડિજિટલાઇઝેશન અભિગમથી વિદ્યાર્થીઓએ કેમ્પસને નવી દ્રષ્ટિથી જોયું. આ વર્કશોપનું આયોજન કન્વીનર ડૉ. કૈલાશ પટેલ (બાયોસાયન્સ વિભાગના વડા) અને કો-કન્વીનર શ્રી અંકિત એમ. ચાંગાવાલા (ફાઈન આર્ટસ વિભાગના કો-ઓર્ડિનેટર) ના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. સુશ્રી પાયલ પાંડવ, ડૉ. રાજશ્રી પી. પટેલ અને ડૉ. વિશાલ મકવાણાએ અનુક્રમે કો-ઓર્ડિનેટર અને ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી તરીકે સેવા આપી હતી. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ એન. ચાવડા અને રજિસ્ટ્રાર ડૉ. આર. સી. ગઢવીએ આ પહેલ અને તેના પરિણામો બદલ સમગ્ર ટીમ અને વિદ્યાર્થીઓની પ્રશંસા કરી હતી. વર્કશોપની સફળ પૂર્ણાહુતિ પછી પણ કેમ્પસની જૈવવિવિધતાને કેપ્ચર કરવાની આ પ્રક્રિયા ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 1:39 pm

વડોદરાના કરાટે ખેલાડીઓએ નેશનલ ચેમ્પિયનશિપમાં ૫ મેડલ જીત્યા:મુંબઈમાં આયોજિત સિનિયર નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું

મુંબઈ ખાતે જાપાન કરાટે એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા સિનિયર નેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપમાં વડોદરાના કરાટે ઇન્સ્ટ્રક્ટર સેન્સાઇ વિશાલ નિઝામા અને તેમના વિદ્યાર્થીઓએ કુલ ૫ મેડલ જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. સેન્સાઇ વિશાલ નિઝામાએ બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેમના વિદ્યાર્થીઓમાંથી શાલીન શુક્લાએ એક સિલ્વર મેડલ, સુહાન ઝાલાએ એક ગોલ્ડ મેડલ અને કનુ ચૌધરીએ એક ગોલ્ડ તથા એક બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. આ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં આસામ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ સહિતના વિવિધ રાજ્યોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 1:33 pm

કુતિયાણા 108 એમ્બ્યુલન્સે એક રાતમાં બે પ્રસુતિ કરાવી:માતા અને જોડિયા બાળકો સહિત 5 જીવ બચાવ્યા

કુતિયાણા તાલુકાના ચૌટા ગામમાં રહેતા જોશનાબેનને પ્રસુતિ પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. EMRI ગ્રીન હેલ્થ સર્વિસના EMT ડો. કેવિનગીરી અપારનાથી અને પાયલોટ રાજેશભાઈ બેસ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થયા હતા. સ્થળ પર સગર્ભાની સ્થિતિ ગંભીર જણાતા એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવવાનો નિર્ણય લેવાયો હતો. એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડિલિવરી કીટનો ઉપયોગ કરીને સાવચેતીપૂર્વક અને સફળતાપૂર્વક પ્રસુતિ કરાવાઈ. જોડિયા બાળકો હોવા અને એક બાળકના ગળામાં નાળ વીંટળાયેલી હોવા છતાં, 108 ટીમે કુદરતી રીતે પ્રસુતિ કરાવી માતા અને બે બાળકો સહિત કુલ ત્રણ જીવ બચાવ્યા હતા. ત્યારબાદ અમદાવાદ 108ના ERCP ફિઝિશિયન ડો. તુષાર સાથે ટેલિફોનિક વાતચીત કરીને જરૂરી સારવાર આપી દર્દીને પોરબંદરની લેડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દર્દીના સગા-સંબંધીઓએ 108ના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. તે જ રાત્રે, કુતિયાણાના ખાગેશ્રી ગામમાં મજૂરી કરતા ભુરી કિકરીયાને પણ પ્રસુતિ પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. EMT કેવિનગીરી અપારનાથી અને પાયલોટ રાજેશ બેસ ફરીથી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. દર્દીને લઈને CHC કુતિયાણા સરકારી હોસ્પિટલ તરફ રવાના થયા હતા, પરંતુ મેવાસા નજીક પહોંચતા સગર્ભાની સ્થિતિ ગંભીર બનતા એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવવી પડી હતી. EMT કેવિનગીરી અપારનાથીએ પાયલોટ રાજેશને એમ્બ્યુલન્સ સાઈડમાં પાર્ક કરવા જણાવ્યું હતું. એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડિલિવરીના સાધનો અને કીટનો ઉપયોગ કરીને સાવચેતીપૂર્વક અને સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી માતા અને બાળક સહિત બે માનવ જીવ બચાવ્યા હતા. ત્યારબાદ અમદાવાદ 108ના ERCP ફિઝિશિયન ડો. તુષાર સાથે ટેલિફોનિક વાતચીત કરીને જરૂરી સારવાર આપી દર્દીને CHC સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કુતિયાણા 108 ટીમની આ પ્રશંસનીય કામગીરી બદલ પ્રોગ્રામ મેનેજર આકાશ અને પોરબંદર જિલ્લાના એક્ઝિક્યુટિવ જયેશગિરી મેઘનાથી દ્વારા તેમને બિરદાવવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 1:33 pm

ચાંદખેડામાં શાંતિ જુનિયર સ્કૂલમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી:બાળકોએ વિવિધ રમતગમત પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો

શાંતિ જુનિયર સ્કૂલ, ચાંદખેડા ખાતે તાજેતરમાં સ્પોર્ટ્સ ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે શાળાના નાના બાળકો માટે વિવિધ રમતગમત પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને રમતાં રમતાં શીખવાની અને સ્વસ્થ રહેવાની પ્રેરણા આપવાનો હતો. આ કાર્યક્રમમાં બાળકોને મંડોળા યોગા (Mandola Yoga) કરાવવામાં આવ્યું હતું. મંડોળા યોગા બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી ગણાય છે. આ યોગ દ્વારા બાળકોની એકાગ્રતા વધે છે, મન શાંત રહે છે અને શરીર મજબૂત બને છે. બાળકોએ ખૂબ જ ઉત્સાહ સાથે યોગ અને રમતગમતની વિવિધ પ્રવૃત્તિઓમાં આનંદપૂર્વક ભાગ લીધો હતો. શિક્ષકો દ્વારા બાળકોને સ્વસ્થ જીવનશૈલી અને નિયમિત કસરતના મહત્વ વિશે પણ સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન શિક્ષકો દ્વારા બાળકો અને વાલીઓને એક મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો. તેમાં જણાવાયું કે જીવનમાં હાર કે જીત પોતે મહત્વની નથી, પરંતુ પરિસ્થિતિનો હિંમતપૂર્વક સામનો કરી સકારાત્મક રહેવું સૌથી વધુ મહત્વનું છે. વાલીઓને સમજાવવામાં આવ્યું કે બાળકોને ક્યારેય “તું કેમ જીત્યો નહીં?” એવું કહેવાને બદલે “તું કરી શકે છે” અથવા “આગળ વધુ સારી રીતે પ્રયત્ન કરજે” જેવા પ્રોત્સાહક શબ્દો કહેવાથી બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ નિર્ભય બની આગળ વધે છે. આ સાથે બાળકોને યોગાના મહત્વ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા. યોગા બાળકોના માનસિક શાંતિ, એકાગ્રતા, આત્મવિશ્વાસ અને શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. નિયમિત યોગાભ્યાસથી બાળકોમાં સકારાત્મક વિચારધારા વિકસે છે અને તેઓ જીવનની દરેક પરિસ્થિતિનો મજબૂતીથી સામનો કરવાની શક્તિ મેળવે છે. શાંતિ જુનિયર સ્કૂલ હંમેશાં બાળકોના સર્વાંગી વિકાસ માટે આવા સકારાત્મક અને ઉપયોગી કાર્યક્રમોનું આયોજન કરતી રહે છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 1:30 pm

ઉદય ફાઉન્ડેશન દ્વારા ગતરાડમાં ગૌ સેવા:વીસ વીઘા ગૌશાળામાં ગૌ પૂજાનું આયોજન કરાયું

ઉદય ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ગતરાડ ગામમાં આવેલી વીસ વીઘા ગૌશાળા ખાતે ગૌ સેવા અને ગૌ પૂજાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત ફાઉન્ડેશનની ટીમના સભ્યો દ્વારા ગાયોની પૂજા કરવામાં આવી હતી. ગૌશાળામાં નિવાસ કરતા પૂજ્ય બાપુએ મંત્રોચ્ચાર સાથે ગૌ પૂજા સંપન્ન કરાવી હતી. ટીમના સભ્યોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ગૌ સેવામાં ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 1:25 pm

સોમનાથ સ્વાભિમાન પર્વ, શિવ બારાત, રુદ્ર મહાયજ્ઞ યોજાશે:ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા ભવ્ય આયોજન કરાશે

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે ભવ્ય શિવ બારાત અને રુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ મહાશિવરાત્રીના દિવસે યોજાશે. પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામસિંહ ઠાકુરે આ અંગે માહિતી આપી હતી. શિવ બારાતમાં ભગવાન ભોળાનાથની મૂર્તિ સાથે વિવિધ દરબારો, ભૂત અને બેતાલની વેશભૂષામાં મંડળો, ગરબા ગ્રુપ, રાજ્યોની વેશભૂષા, બેન્ડબાજા, ડીજે લાઇટ અને વિવિધ સરકારી યોજનાઓના ટેબલો તેમજ વટવાની વિકાસ ગાથાના ટેબલોને સ્થાન અપાશે. આ શિવ બારાતમાં મોટી સંખ્યામાં કળશ યાત્રીઓ અને ૧૦૧ કાંવડ યાત્રીઓ જોડાશે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા શિવ બારાતમાં જોડાનાર તમામ ભક્તોને મંત્રોથી અભિમંત્રિત કરેલા રુદ્રાક્ષ અને રુદ્રાક્ષ માળા નિઃશુલ્ક આપવામાં આવશે. શિવરાત્રીના એક દિવસ પહેલા રુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે. શિવ બારાતના મુખ્ય યજમાન તરીકે શ્રી મહેશસિંહ કુશવાહ અને શ્રી શ્યામસિંહ ઠાકુર રહેશે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશસિંહ કુશવાહે જણાવ્યું કે, શિવ બારાતના આયોજન માટે કારોબારી બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ભાગ લેશે, અને તેમના માટે ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 1:23 pm

પોરબંદરની સગીરાનો અપહરણ કેસ:જામનગરથી મુખ્ય આરોપીની ધરપકડ, મદદ કરનાર 2 ઝડપાયા; સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી

પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા સગીરાના અપહરણ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. પોલીસે મુખ્ય આરોપી સહિત ત્રણ શખ્સોને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી છે. મુખ્ય આરોપીને જામનગર જિલ્લાના બજરંગપુર ગામેથી પકડવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના રાજપરા ગામના કરણ સિંહોરા દ્વારા એક સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ અંગે રાણાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે આરોપી અને ભોગ બનનાર જામનગર જિલ્લાના બજરંગપુર ગામે છુપાયેલા છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને મુખ્ય આરોપીને ધરપકડ કરીને સગીરાને મુક્ત કરાવી હતી પોલીસે આરોપીને મદદ કરનાર સંદીપ લુદરિયા અને લખમણ સિંહોરાની પણ પોલીસે ધરપકડ કરી છે. સંદીપે અપહરણમાં મદદ કરી હતી. જ્યારે લખમણ સિંહોરાએ અલગ-અલગ જગ્યાએ આશરો આપ્યો હતો. રાણાવાવ પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 1:22 pm

શિક્ષાપત્રી મંથન:સંતોનાને કુસંગથી બચાવવા માતાપિતાએ સમય કાઢી સંસ્કાર આપવા જરૂરી

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે માનવશરીર એ દુનિયાની સૌથી અદ્ભૂત રચના છે. જીવન કેવી રીતે જીવવું તેની સાચી કળા શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી ગ્રંથમાં શીખવી છે. આજના બાળકો અને યુવાનો ઘણીવાર કુસંગના કારણે વ્યસનો તરફ વળી જાય છે. આથી દરેક માતાપિતાની ફરજ છે કે તેઓ સમય કાઢીને સંતાનોને સંસ્કાર આપે. ઘણા માતાપિતા બાળકોને સાચવવા માટે સમયના અભાવે અને પૈસાની ઉપલબ્ધતાને કારણે નોકરને ઘરમાં રાખી દે છે. નોકર બાળકોને ખાવા-પીવા આપશે અને રમાડશે, પરંતુ તે સારા સંસ્કાર આપી શકશે નહીં. સાધુ પ્રેમવત્સલદાસજીએ પ્રશ્ન કર્યો કે શું માતાપિતા પોતાના ઘરના કબાટમાં રાખેલા દાગીના અને પૈસાની ચાવી નોકરને સોંપે છે? જો સંપત્તિ નોકરને સોંપવાની તૈયારી નથી, તો ભવિષ્ય અને વારસો સમાન સંતાનોને નોકરના હવાલે શા માટે કરી દેવામાં આવે છે તે વિચારવું જોઈએ. બાળકોને નાનપણથી સારા સંસ્કાર આપવા માટે સમય કાઢીને મહેનત કરવી અનિવાર્ય છે. જો આ મહેનત કરવામાં નહીં આવે તો બાળકોને શું કરવું અને શું ન કરવું તે અંગેનો વિવેક શીખવી શકાશે નહીં. આ વિવેક માતાપિતાએ જ શીખવવો પડશે, અને જે માતાપિતા આ વિવેક શીખવશે તેમના સંતાનો સારા પાકશે. શ્રી સ્વામિનારાયણ ભગવાન રચિત શિક્ષાપત્રી એ સારા સંસ્કાર કેવી રીતે શીખવવા તે માટે માર્ગદર્શન આપતો ગ્રંથ છે. આ ગ્રંથનું વાંચન અને મનન કરીને સંતાનોને સંસ્કાર આપવા જોઈએ.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 1:14 pm

ડીંડોલીમાં ક્રિકેટ રમતા બેંક કર્મચારીનું ઢળી પડ્યાં બાદ મોત:બેટિંગ કરી ડિવાઈડર પર બેઠો ને બેભાન; પરિવારે જુવાનજોઘ દીકરો ગુમાવ્યો; હાર્ટ-એટેકની આશંકા

સુરતના ડીંડોલી-નવાગામ વિસ્તારમાં રવિવારની રજામાં ક્રિકેટ રમવાની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે. રમત દરમિયાન 35 વર્ષીય યુવાન મેહુલ સતીશ પટેલનું હાર્ટ-એટેકથી નિધન થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મેહુલ પટેલ દર રવિવારે મિત્રો સાથે ક્રિકેટ રમવા જતો હતો, પરંતુ આ રવિવાર તેના જીવનનો અંતિમ દિવસ સાબિત થયો હતો. મૃતક મેહુલ પટેલ ડીંડોલી નવાગામના ધોડિયાવાડ વિસ્તારમાં રહેતો હતો અને બેંક ઓફ બરોડા ગ્રામીણ બેંકની ડુભાલ શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રવિવારે સવારે તે હંમેશાની જેમ મિત્રો સાથે નંદનવન ટાઉનશીપ પાસેના મેદાનમાં મેચ રમવા ગયો હતો. બેટિંગ પૂરી કર્યા બાદ તે મેદાનમાં જ એક ડિવાઈડર પર આરામ કરવા બેઠો હતો, જ્યાં અચાનક તે બેભાન થઈને ઢળી પડ્યો હતો. નવી સિવિલમાં લઈ જતાં ડોક્ટરે મૃત જાહેર કર્યોમેહુલને અચાનક ઢળી પડતો જોઈ તેના મિત્રો ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક પોતાની કારમાં તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. તબીબોના મતે યુવાનને હાર્ટ-એટેક આવ્યો હોવાની શક્યતા છે, જેના કારણે તેને સંભાળવાની તક પણ મળી ન હતી. આ ઘટના અંગે વોર્ડ નંબર 27ના કોર્પોરેટર સુધાકર ચૌધરીએ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. બે વર્ષની પુત્રએ પિતા ગુમાવ્યાં, પરિવારમાં માતમમેહુલના અકાળે અવસાનથી તેના બે વર્ષના માસૂમ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ઘરમાં વૃદ્ધ માતા-પિતા અને પત્નીનો આક્રંદ સાંભળી આખું ગામ હિબકે ચઢ્યું છે. જુવાનજોધ દીકરાની અર્થી ઉઠતા પિતા સતીશભાઈ પર આભ તૂટી પડ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સુરત સહિત ગુજરાતમાં યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ ફરી એકવાર ચિંતાનો વિષય બનાવી દીધો છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 1:05 pm

તરસાલી NH-48ના સર્વિસ રોડ પર બાઈક સ્લીપ થતાં એકનું મોત:એક ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો, ચાલક નશામાં હતો કે કેમ તે દિશામાં પોલીસ તપાસ શરૂ

વડોદરા શહેર અને જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના તરસાલીથી કપુરાઈ તરફ જતા નેશનલ હાઈવે(NH) પર રવિવારે(11 જાન્યુઆરી) સાંજના સમયે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્વિસ રોડ પર સર્જાયો છે જેમાં અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. બાઈક પર સવાર બે લોકો આ માર્ગ પર ફંગોળાયા હતાં. જેમાં એકનું ગંભીર ઇજાઓને લઈ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે કપુરાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સર્વિસ રોડ પર બાઈક પર નીકળ્યાને અકસ્માતમળતી માહિતી મુજબ, રવિવારે(11 જાન્યુઆરી) મોડી સાંજે તરસાલી નેશનલ હાઇવે 48 પાસે સર્વિસ રોડ પર બે યુવકો પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ નેશનલ હાઇવે પરથી સર્વિસ રોડ પર આવી રહ્યા હતા તે દરમ્યાન બાઈક સ્લીપ થવાથી કે અન્ય કોઈ વાહનની ટક્કરથી બાઈક સ્લીપ થઈ જતા બંને લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. અકસ્માતને પગલે સર્વિસ રોડ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. આ અકસ્માતમાં ઘનશ્યામનગર મકરપુરામાં રહેતા શ્યામ કુશેશ્વર યાદવ (ઉં.વ. 55)નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્ત રાજેશભાઈ વખતસિંહ ઠાકોરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એકનું મોત, એક ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયોઆ ગમખ્વાર અકસ્માતમાં શ્યામ યાદવનું ગંભીર ઇજાઓને લઈ સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે રાજેશ ઠાકોરને તાત્કાલિક 108 મારફતે એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચાલક નશામાં હતો કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસે આસપાસના CCTV ફૂટેજ મેળવી સમગ્ર ઘટના અંગેની તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 12:50 pm

વિસાવદરનો ગુજસીટોકનો આરોપી ઝડપાયો.:આઠ મહિનાથી પોલીસને થાપ આપતો ગુજસીટોકનો આરોપી 'પોપટ' પકડાયો: રાજકોટની કોર્ટે વોરંટ જાહેર કર્યા બાદ SOG એ વિસાવદરમાંથી દબોચ્યો.​

સંગઠિત ગુનાખોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓને નાથવા માટેના કડક કાયદા 'ગુજસીટોક' (GUJCTOC) હેઠળ નોંધાયેલા ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડવા માટે જૂનાગઢ પોલીસ એક્શન મોડમાં છે. વિસાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના ગંભીર ગુનામાં છેલ્લા આઠ મહિનાથી નાસતા ફરતા આરોપી ઇમ્તીયાઝ ઉર્ફે પોપટ જાવીદભાઇ બ્લોચને પકડી પાડવામાં જૂનાગઢ એસ.ઓ.જી ને મોટી સફળતા મળી છે. આરોપીના જામીન રદ થતા કોર્ટે તેની સામે વોરંટ ઈસ્યુ કર્યું હતું. જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરા દ્વારા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. આ અભિયાન હેઠળ SOG પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર અને તેમની ટીમ સતત વોચ રાખી રહી હતી. ખાસ કરીને ગંભીર ગુનામાં સંડોવાયેલા શખ્સો પોલીસ પકડથી દૂર ન રહે તે માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ​ટેકનિકલ સર્વેલન્સથી મળી સફળતા SOG ના હેડ કોન્સ્ટેબલ મેણસીભાઇ અખેડ, રોહીતભાઇ ધાધલ અને વિશાલભાઇ ઓડેદરાને બાતમી મળી હતી કે વિસાવદરના હનુમાનપરા વિસ્તારમાં રહેતો ઇમ્તીયાઝ ઉર્ફે પોપટ જાવીદભાઇ બ્લોચ વિસાવદર ખાતે હાજર છે. આ શખ્સ વિરુદ્ધ વિસાવદર પોલીસ મથકે ગુજસીટોક એક્ટની કલમ-3(1)(2), 3(2), 3(4) હેઠળ ગુનો નોંધાયેલો હતો (GCTOC/4/2022). મુખ્ય જિલ્લા ન્યાયાલય રાજકોટ દ્વારા તેના જામીન રદ કરવામાં આવ્યા હતા અને તેની ધરપકડ માટે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. આરોપી ઇમ્તીયાઝ ઉર્ફે પોપટ છેલ્લા આઠ મહિનાથી ધરપકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો. જોકે, SOG ની ટીમે ચોક્કસ બાતમીના આધારે વિસાવદર ખાતેથી તેને હસ્તગત કર્યો હતો. ધરપકડ બાદ આરોપીને આગળની કાર્યવાહી માટે વિસાવદર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.​​આ કામગીરીમાં SOG ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર, એ.એસ.આઇ. કરશનભાઇ મોઢા, હેડ કોન્સ્ટેબલ મેણસીભાઇ અખેડ, કોન્સ્ટેબલ રોહીતભાઈ ધાધલ, વિશાલભાઇ ઓડેદરા અને ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ પરબતભાઇ દિવરાણીયા જોડાયેલા હતા.​

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 12:42 pm

'પાણીપુરી સ્પેશિયલ ડ્રાઈવ', 5 દિવસમાં 1220 લારી પર ચેકિંગ:અલથાણ, ભટાર, પાંડેસરા, અડાજણ સહિતમાંથી 1400 કિલો અખાદ્ય જથ્થો પકડાયો; 10 દુકાન સીલ, અઢી લાખનો દંડ

સુરતની ખાણીપીણીની દુનિયામાં અત્યારે ફફડાટ ફેલાયો છે. જે પાણીપુરીના ચટાકા લેવા માટે લોકો પડાપડી કરતા હોય છે, એ જ લારીઓ પર આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી હતી. કડવી વાસ્તવિકતા એ છે કે, જે પુરીઓ ગ્રાહકોના મોઢામાં જવાની હતી, તેને અધિકારીઓએ કચરા ગાડીમાં અને ગટરમાં ફેંકીને નાશ કરવો પડ્યો હતો. આ દૃશ્યો જોઈને કોઈ પણ ખાણીપીણીના શોખીનનું મન ખાટું થઈ જાય તેમ છે. 1200 લારીઓ પર મનપાની કાર્યવાહીછેલ્લા 5 દિવસથી સુરતના રસ્તાઓ પર કંઈક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. મનપાની આરોગ્ય ટીમોએ વહેલી સવારથી જ 'પાણીપુરી સ્પેશિયલ ડ્રાઈવ' શરૂ કરી છે. અલથાણ, ભટાર, પાંડેસરા અને અડાજણ જેવા ધમધમતા વિસ્તારોમાં એકસાથે દરોડા પાડીને કુલ 1220 જેટલી સંસ્થાઓ અને લારીઓનું રાતોરાત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ જાણે ખાણીપીણીના માફિયાઓ સામે પાલિકાની સર્જિકલ સ્ટ્રાઈક હોય તેવું જણાઈ રહ્યું છે. તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસરોએ માત્ર ઉપરછલ્લી તપાસ નથી કરી, પરંતુ જ્યાં પાણીપુરીનું ઉત્પાદન થાય છે તેવા ગોદામો પણ ફંફોળ્યાં હતા. આ સુરતીઓના સ્વાસ્થ્ય માટે ટાઈમ બોમ્બ સમાનઃ ફૂડ સેફ્ટી ઓફિસરઆરોગ્ય અધિકારી ડો. કેતન ગરાસિયાએ જણાવ્યું કે, 5 દિવસની કાર્યવાહીમાં પાલિકાએ સાબિત કરી દીધું કે લોકોના જીવ સાથે ચેડાં કરનારને છોડવામાં આવશે નહીં. અમે માત્ર લારીઓ પર જ નહીં, પણ જ્યાં પાણીપુરીનું બલ્ક પ્રોડક્શન થાય છે તેવા કેન્દ્રો પર ત્રાટક્યા છીએ. તપાસ દરમિયાન જે રીતે સડેલા બટાકા અને અત્યંત ગંદા વાતાવરણમાં મસાલો બનતો જોવા મળ્યો, તે ખરેખર ચિંતાજનક છે. અમે 1400 કિલોથી વધુ અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે અને 2.60 લાખનો દંડ ફટકાર્યો છે. જે સંસ્થાઓ નોટિસ પછી પણ સુધરી નથી, તેવી 10 દુકાનોને અમે સીલ કરી દીધી છે. લોકોના જીવ જોખમમાં મૂકનાર કોઈ પણ વેપારીને છોડવામાં આવશે નહીં. 2.60 લાખનો દંડ અને 10 દુકાનોને કાયમી તાળાઆ કોઈ સામાન્ય ડ્રાઈવ નહોતી, કારણ કે આંકડા ચોંકાવનારા છે. તપાસ દરમિયાન આશરે 1400 કિલો જેટલો અખાદ્ય અને વાસી જથ્થો પકડાયો હતો, જેને તંત્રએ 'ઝેર' ગણીને નષ્ટ કર્યો છે. માત્ર નોટિસ આપીને સંતોષ માનવાને બદલે, આરોગ્ય વિભાગે 73 જેટલી સંસ્થાઓને કડક નોટિસ ફટકારી છે અને જેઓ સુધરવા તૈયાર નહોતા તેવી 10 જાણીતી ખાણીપીણીની દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં પણ તપાસ ચાલુ રહેશેઆ કાર્યવાહીમાં તંત્રએ વેપારીઓના ગજવા પણ ગરમ કર્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,60,000 રૂપિયાથી વધુનો રોકડ દંડ વસૂલવામાં આવ્યો છે. જે રીતે સુરતમાં રોગચાળો ફેલાવાની ભીતિ રહે છે, તેને જોતા આ કડક હાથે લેવાયેલા પગલાં ખૂબ જ જરૂરી બન્યા હતા. હવે જોવાનું એ રહેશે કે આ કાર્યવાહી બાદ પણ પાણીપુરીના વેપારીઓ સ્વચ્છતા જાળવે છે કે કેમ.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 12:29 pm

મોદીનો 'હટકે' અંદાજ:બ્લેક ગોગલ્સ, ટ્રેડિશનલ કોટી અને પટોળાના ખેસમાં એન્ટ્રી, અવનવી પતંગોની દોર થામી પતંગબાજોને લગાડ્યું ઘેલું, જૂઓ VIDEO

અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ આજે એક અનોખા સંગમનો સાક્ષી બન્યો છે. આસમાનમાં રંગબેરંગી પતંગોની જમાવટ છે અને જમીન પર ભારતની સંસ્કૃતિનો શણગાર. 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026' માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝનું ભવ્ય સ્વાગત કરાયું. આ વખતે લોકોની નજર માત્ર પતંગો પર જ નહીં, પણ PM મોદીના લુક પર અટકી. આંખો પર બ્લેક ગોગલ્સ, ટ્રેડિશનલ કોટી અને ગળામાં ગુજરાતની વિરાસત સમાન 'પટોળા'નો શાહી સ્ટોલ પહેરીને PM મોદીએ એન્ટ્રી લીધી, આ અલગ અંદાજ સૌ કોઈના મનમોહ્યા હતા. ઉત્સવમાં 'સોનામાં સુગંધ ભળે' તેવા દ્રશ્યો ત્યારે જોવા મળ્યા જ્યારે PM મોદીએ પોતે પતંગની દોર હાથમાં લીધી. 'I Love Modi' અને 'India' લખેલી પતંગો સાથે તેમણે પતંગબાજોના મન મોહી લીધા. ખાસ કરીને, જ્યારે તેમણે તિરંગાના રંગની પતંગ ચગાવી અને ઢીલ છોડી. આ પહેલાં બંને નેતાઓએ કાઈટ ફેસ્ટિવલનું એક્ઝિબિશન નિહાળ્યું હતું. આ દરમિયાન PM મોદી અને ફ્રેડરિક મર્ઝ કોઈ સામાન્ય વ્યક્તિની જેમ એક ઓટલા પર બેસીને વાતચીત કરતા નજરે પડ્યા. ઉપરના વીડિયોમાં જુઓ આ હટકે અંદાજ...

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 12:10 pm

પાવીજેતપુરમાં ખેતરમાંથી બે મહાકાય અજગર મળ્યા:10 અને 6 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કરી સુરક્ષિત રીતે જંગલમાં છોડાયા

પાવીજેતપુર તાલુકાના ભીંડોલ ગામે એક ખેતરમાંથી બે મહાકાય અજગર મળી આવ્યા હતા. કરસણ ગામના સર્પ નિષ્ણાત મિતેશભાઈ રાઠવાએ ભારે જહેમત બાદ બંને અજગરોને સુરક્ષિત રીતે પકડી જંગલમાં મુક્ત કર્યા હતા, જેનાથી ગ્રામજનોએ રાહત અનુભવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ભીંડોલ ગામના કાબલાભાઈ અમરસિંગભાઈ રાઠવાના ખેતરમાં સૂકાઈ ગયેલા વૃક્ષોને જેસીબી મશીન દ્વારા દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન બે અલગ-અલગ વૃક્ષોના પોલાણવાળા થડમાંથી અચાનક અજગરો દેખાઈ આવતા કામ કરી રહેલા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. આ અજગરો પૈકી એક આશરે 10 ફૂટ લાંબો અને બીજો 6 ફૂટ લાંબો હોવાનું જણાયું હતું. ઘટનાની જાણ થતાં જ કરસણ ગામના સાપ પકડવાના નિષ્ણાત મિતેશભાઈ દેવેન્દ્રભાઈ રાઠવા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. મિતેશભાઈએ ભારે જહેમત બાદ બંને અજગરોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધા હતા અને બાદમાં તેમને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યા હતા. મિતેશભાઈ રાઠવા આ ક્ષેત્રમાં લાંબા સમયથી માનદ સેવા આપી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, માનવ અને વન્યજીવ બંનેના જીવ બચાવવા તે તેમનો મુખ્ય હેતુ છે. તેમણે અત્યાર સુધીમાં ૫૦૦૦થી વધુ સાપ અને અજગરોને પકડીને જંગલમાં છોડી ચૂક્યા છે. તેમની આ નિઃસ્વાર્થ કામગીરીની પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 12:08 pm

ICDS પાલનપુર ઘટક-1 દ્વારા કિશોરીઓ માટે પતંગ ઉત્સવ:પૂર્ણા યોજના, આયર્ન અને સ્વચ્છતા પર માર્ગદર્શન અપાયું

આઇસીડીએસ પાલનપુર ઘટક-1 દ્વારા જામપુર પ્રાથમિક શાળા, પાલનપુર ખાતે કિશોરીઓ માટે પતંગ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરીઓને પૂર્ણા યોજના, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિશે જાગૃત કરવાનો હતો. ઉત્સવ દરમિયાન કિશોરીઓને પૂર્ણા યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આયર્નની ગોળીનું મહત્વ, પૂર્ણા શક્તિ પેકેટના ઉપયોગ અને તેના ફાયદાઓ સમજાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અંગત સ્વચ્છતા અને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા (મેન્સ્ટ્રુઅલ હાઇજીન) વિષયક જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. કિશોરીઓએ પૂર્ણા યોજના અંતર્ગત પતંગનું સુશોભન કર્યું હતું. તેમની BMI, વજન, ઊંચાઈ અને હિમોગ્લોબિન (HB) સ્તરની પણ તપાસ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ કિશોરીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. ઉત્તમ હિમોગ્લોબિન સ્તર ધરાવતી અને સુંદર પતંગ સુશોભન કરનાર કિશોરીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સીડીપીઓ ડિમ્પલ પંચાલ, આઇસીડીએસના સુપરવાઇઝરઓ, પીએસઇ સ્ટાફ, એફએચડબલ્યુ, આરોગ્ય વિભાગના સુપરવાઇઝર, આઇસીડીએસ સ્ટાફ, આંગણવાડી કાર્યકરઓ તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 12:04 pm

અંગદાન જાગૃતિ માટે ભરૂચમાં પતંગોત્સવ યોજાયો:સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા અંગદાન કરનાર પરિવારોનું સન્માન કરાયું

ભરૂચમાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવા માટે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થના સ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભરૂચના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને અંગદાન કરનાર પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ સેવા કાર્યો કરે છે. જિલ્લામાં અંગદાનની શરૂઆત આ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી, જેના થકી અનેક લોકોના જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય થયું છે. અત્યાર સુધીમાં સંસ્થાએ 1225 ચક્ષુદાન, 20 દેહદાન અને 20 જેટલા અંગોના દાન કરાવ્યા છે. ઉપરાંત, 4 બ્રેઈન ડેડ વ્યક્તિઓ દ્વારા 400થી વધુ પરિવારોને સાધન સહાય પણ પૂરી પાડવામાં આવી છે. સંકલ્પ ફાઉન્ડેશન સમાજમાં રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી દર વર્ષે પતંગોત્સવનું આયોજન કરે છે. આ પરંપરાના ભાગરૂપે આ વર્ષે પણ શહેરની પ્રાર્થના સ્કૂલ ખાતે પતંગોત્સવ અને દેહદાન-નેત્રદાન કરનારા પરિવારોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પતંગો પર રક્તદાન, નેત્રદાન અને અંગદાનના સૂત્રો લખીને જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પ્રાર્થના સ્કૂલના ટ્રસ્ટી ડો. જીગ્નેશ પટેલ અને જયાબેન મોદી હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. આત્મી ડેલીવાલા ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ યોગેશ જોશી,સામાજિક અગ્રણી જીતેન્દ્ર મહેતા, આમોદ દેરાસરના ટ્રસ્ટી પારસ શાહ, વાણી ફાઉન્ડેશનના પ્રમુખ માર્ટિન પટેલ, સામાજિક અગ્રણી પ્રદીપ રાવલ અને પરાગ શેઠ પણ હાજર રહ્યા હતા. સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ સંજય તલાટી,પ્રમુખ અશોક જાદવ અને સેક્રેટરી જતીન પ્રજાપતિ સહિતના સભ્યોએ અંગદાન, દેહદાન અને નેત્રદાન કરનારા લોકો તેમજ તેમના પરિવારજનોનું સન્માન કર્યું હતું. સન્માન સમારોહ બાદ બાળકોએ પતંગોત્સવનો આનંદ માણ્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 12:03 pm

વલસાડમાં ચાઈનીઝ દોરી વેચાણ રોકવા ગયેલી પોલીસ પર હુમલો:બે મહિલા સહિત પાંચ લોકો સામે ગુનો નોંધાયો

વલસાડ શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ સામે કાર્યવાહી કરવા ગયેલા પોલીસકર્મી પર હુમલો થયો છે. આ ઘટના મોગરાવાડી હનુમાન ફળીયા વિસ્તારમાં તા. 11 જાન્યુઆરી, 2026ના રોજ રાત્રે 10:15 વાગ્યે નાગેશ્વર મંદિર શારદાધામ પાસે બની હતી. આ મામલે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં તા. 12મી જાન્યુઆરી, 2026ના રોજ ભારતીય ન્યાય સંહિતા 2023 અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વલસાડ સિટી પોલીસના સર્વેલન્સ સ્કોડના હેડ કોસ્ટબલ સહદેવસિંહ પ્રવિણસિંહને બાતમી મળી હતી કે યશ દીપકભાઈ નિકમ ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યો છે. તપાસ દરમિયાન યશના એક્ટિવા વાહનમાંથી ચાઈનીઝ દોરીની ફિરકીઓ મળી આવી હતી. પૂછપરછ ચાલી રહી હતી ત્યારે યશ નિકમના માતા-પિતા દીપકભાઈ નિકમ અને ડિમ્પલબેન નિકમ સહિત અન્ય લોકોએ ઉશ્કેરાઈને પોલીસકર્મી સહદેવસિંહ પર લાકડાના ધોકા અને ઢીકા-મુક્કા વડે હુમલો કર્યો હતો. તેમણે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ હુમલામાં સહદેવસિંહને જમણા હાથની આંગળીમાં ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ થઈ હતી. તેમનો મોબાઈલ ફોન પણ તોડી નાખવામાં આવતા અંદાજે ૪૦,૦૦૦ રૂપિયાનું નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં 112 હેલ્પલાઈનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ઈજાગ્રસ્ત પોલીસકર્મીને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે યશ નિકમ, દીપકભાઈ નિકમ, ડિમ્પલબેન નિકમ, સંદીપ અને રીનાબેન સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 11:59 am

જામનગરમાં ફ્લેટમાં તોડફોડ, પ્લોટના દસ્તાવેજ ચોરાયા:રિસામણે બેઠેલી પત્ની, સાળી-સાઢુ સામે ફરિયાદ

જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલા અલમહંમદી એપાર્ટમેન્ટમાં રહેતા 34 વર્ષીય યુવાનના બંધ ફ્લેટમાં તોડફોડ અને કિંમતી પ્લોટના દસ્તાવેજોની ચોરી થઈ છે. આ મામલે યુવાને તેની રિસામણે બેઠેલી પત્ની, સાળી અને સાઢુભાઈ સામે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ, ફરિયાદીની પત્ની છેલ્લા છ મહિનાથી રિસામણે પોતાના માવતરે રહે છે. જે તેની બહેન અને બનેવી સાથે યુવકના બંધ ફ્લેટમાં પ્રવેશ્યા હતા. આરોપીઓએ ફ્લેટમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, બારીના કાચ અને રસોડાના પ્લેટફોર્મ સહિતની ચીજવસ્તુઓમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ, પેટી પલંગમાં રાખેલા પડાણા ગામ પાસેના કિંમતી પ્લોટના દસ્તાવેજોની મૂળ અને નકલ બંને ફાઈલોની ચોરી કરી હતી. ફરિયાદી યુવાન ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાથી ફ્લેટને તાળું મારીને ગયો હતો. એપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસતા, પત્ની, સાળી અને સાઢુભાઈ દિવસ દરમિયાન એપાર્ટમેન્ટમાં પ્રવેશતા અને દસ્તાવેજોની ફાઈલ સાથે બહાર નીકળતા સ્પષ્ટ દેખાયા હતા. આ ફરિયાદના આધારે પી.એસ.આઇ. વી.આર. ગામેતી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 11:58 am

હિંમતનગરમાં સ્વામી વિવેકાનંદની 163મી જન્મજયંતિ ઉજવાઈ:ધારાસભ્ય સહિત અગ્રણીઓએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

હિંમતનગરમાં સ્વામી વિવેકાનંદની 163મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. મહેતાપુરા ખાતે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય વી.ડી. ઝાલા સહિત સ્થાનિકો અને વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. હિંમતનગરના મહેતાપુરા સ્થિત સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે નગરપાલિકા દ્વારા સ્થાપિત કરવામાં આવેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ધારાસભ્ય વી.ડી. ઝાલાએ ફુલહાર પહેરાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, કારોબારી અધ્યક્ષ જીનલ પટેલ અને પૂર્વ પ્રમુખ અનિરુદ્ધભાઈ સોરઠીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણી દરમિયાન સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિશેષ રીતે ભાગ લીધો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદનો પોશાક ધારણ કરીને હાથમાં ગીતા પકડી હતી, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ સ્વામી વિવેકાનંદની તસવીર સાથે વિસ્તારમાં રેલી સ્વરૂપે ફર્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 11:54 am

પ્રકૃતિ અને સ્વાસ્થ્યનો સંગમ સાથે ગિરનાર પરિક્રમા સાયકલ યાત્રા:રાજ્યકક્ષાની સાયકલ પરિક્રમામાં ગોહિલવાડના 22 સાયકલિસ્ટોએ જોડાયા

420 સાયકલિસ્ટોએ 73 કિમીની સફર ખેડી ઈતિહાસ રચ્યો ગિરનારની પ્રાકૃતિક સુંદરતા, આધ્યાત્મિકતા અને સ્વાસ્થ્યના ત્રિવેણી સંગમ સમાન ‘રાજ્યકક્ષાની ગિરનાર પરિક્રમા સાયકલ યાત્રા’ માં આ વર્ષે ગુજરાત સહિત અન્ય રાજ્યોના કુલ 420 સાયકલિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લઈને એક નવો ઈતિહાસ રચ્યો છે જેમાં ભાવનગરના 2 મહિલા સહિત 22 સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો, ​આ સાયકલ યાત્રાનું આયોજન અમદાવાદના ‘ગ્રીન રાઈડર્સ સાયકલિંગ ગ્રુપ’ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ફિટ ઈન્ડિયા ભાવનગર સાયકલ ક્લબ અને રાજ્યના અન્ય 11 સાયકલિંગ ક્લબોએ સહકાર આપ્યો હતો. જેમાં સવારે સરદાર પટેલ દરવાજા જૂનાગઢ થી શરૂ થઈ પૂર્ણ વિવેકાનંદ સ્કૂલ જેનું કુલ 73 કિલોમીટર થાય છે, ​ભાવનગર સાયકલ ક્લબના ઉત્સાહમાં આ વર્ષે મોટો ઉછાળો જોવા મળ્યો છે ગયા વર્ષે માત્ર 9 સભ્યો જોડાયા હતા, જેની સામે આ વર્ષે 22 સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો, જેમાં 3 મહિલા સાયકલિસ્ટોનો પણ સમાવેશ થાય છે આ તમામ સભ્યોએ 73 કિમીની કપરી ગણાતી રાઈડ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી, ​ભાવનગર સાયકલ ક્લબના ફાઉન્ડર અને યુનિવર્સિટી કેમ્પસ ઓફિસર કલ્પેશસિંહ ઝાલાએ આ સફળતા બદલ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ યાત્રા માત્ર એક ઈવેન્ટ નથી, પરંતુ સ્વાસ્થ્ય, પર્યાવરણ અને આધ્યાત્મિકતાનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે, ​યાત્રા પૂર્ણ કરનાર ભાવનગરના તમામ સાયકલિસ્ટોને ક્લબ દ્વારા મેડલ આપી સન્માનિત કરવામાં આવશે, યાત્રાના આગલા દિવસે સાયકલિસ્ટોએ જૂનાગઢના ઐતિહાસિક સ્થળોની મુલાકાત પણ લીધી હતી, આ આયોજન દ્વારા લોકોમાં સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 11:51 am

કદવાલ પાસે ગેરકાયદે બંદૂક સાથે એક ઝડપાયો:વાહન ચેકિંગમાં બારબોરની બંદૂક અને ગાડી સહિત 1.60 લાખનો મુદ્દામાલ જપ્ત

છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ગેરકાયદેસર બંદૂક સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી એક બારબોરની બંદૂક અને ગાડી મળી કુલ 1.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગત રાત્રે પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. પરમાર અને તેમની ટીમ કદવાલ ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. વહેલી સવારે આશરે ૧:૩૦ વાગ્યે કદવાલ કસ્બા ફળિયા તરફથી આવી રહેલી લાલ કલરની મહિન્દ્રા કોન્ટો સી-૮ ગાડીને પોલીસે અટકાવી હતી. ગાડીની તપાસ કરતા તેની પાછળની સીટ પરથી એક નાળીવાળી બારબોરની બંદૂક મળી આવી હતી. ગાડી ચલાવી રહેલા ઈસમની પૂછપરછ કરતા તેનું નામ સોહીલ ઉર્ફે બારોટ હબીબભાઈ શેખ (ઉંમર ૨૨, રહે. છોટાઉદેપુર, હાલ રહે. દેવગઢ બારીયા) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સોહીલ શેખ પાસેથી બંદૂક રાખવા અંગેના લાયસન્સ કે પાસ-પરવાનાની માંગણી કરતા, તે કોઈ માન્ય દસ્તાવેજ રજૂ કરી શક્યો ન હતો. લાંબી પૂછપરછ બાદ આરોપીએ કબૂલાત કરી હતી કે તેની પાસે આ હથિયાર રાખવાનો કોઈ કાયદેસરનો પરવાનો નથી. કદવાલ પોલીસે આરોપી સોહીલ શેખ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ₹૧૦,૦૦૦/- ની એક નાળીવાળી બારબોર બંદૂક અને ₹૧,૫૦,૦૦૦/- ની મહિન્દ્રા કોન્ટો સી ગાડીનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત ₹૧,૬૦,૦૦૦/- છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 11:26 am

લુટેરી દુલ્હન ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો:સુરેન્દ્રનગરના યુવકને લગ્નની લાલચ આપી 3.75 લાખ પડાવ્ચા, મહિલા સહિત ત્રણ વોન્ટેડ

સુરેન્દ્રનગર જિલ્લાના યુવકને લગ્નની લાલચ આપી રૂ.3.75 લાખની છેતરપિંડી કરનાર લુટેરી દુલ્હન ગેંગના મુખ્ય સુત્રધારને મકરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે. આ અગાઉ આ ટોળકીના બે સભ્યોને ઝડપી લેવામાં આવ્યા હતા. હાલમાં લુટેરી દુલ્હન સહિત ત્રણ આરોપી વોન્ટેડ છે. લુટેરી દુલ્હન ગેંગે 3.75 લાખ પડાવી લીધાવડોદરાના તરસાલી ખાતે રહેતી સોનાલીબેનના સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં આવેલા ગામે રહેતા તારાબેન ભલગામાના દિકરા લાલજી મનસુખભાઇ ભલગામા સાથે લગ્ન કરાવી નોટરાઇઝ સોગંદનામુ તથા લગ્ન સબંધી સમજુતી કરાર કરાવી રાજેશગીરી ગોસ્વામી, હેમંત રાજગીરી ગોસ્વામી, મહેંદ્ર પ્રજાપતિ, નાજીર તથા શરીફાબેન બચુભાઈ મુસ્લીમ તથા તોસીફ બચુભાઈ મુસ્લીમ દ્વારા તેમની પાસેથી રોકડા તથા ઓનલાઇન મળી કુલ રૂપિયા 3.28 લાખ, સોના અને ચાંદીના દાગીના સહિત અન્ય રોકડ રકમ, મોબાઇલ ફોન તમામ મળી રૂપિયા 3.75 લાખ પડાવી લીધા હતાં. સાસરીમાંથી દાગીના સહિતની રોકડ લઇ.…પરંતુ લગ્ન બાદ આરોપીઓએ સાસરીમાંથી એકવાર પિયરમાં સોનાલીને તેડી લાવ્યા હતા. દુલ્હન પણ સાસરીમાંથી દાગીના સહિતની રોકડ લઇ આવી ગઈ હતી. જેના કારણે દુલ્હન સોનાલીને પરત સાસરીમાં પરત નહી મોકલી યુવક તથા મહિલા સાથે ઠગાઈ આચરવામાં આવી હતી. જેની મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. લુટેરી દુલ્હન ગેંગનો મુખ્ય સુત્રધાર ઝડપાયોમકરપુરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સ આધારે તપાસ કરી લગ્નની લાલચ આપી છેતરપીંડી કરનાર લુટેરી દુલ્હન ગેંગના મુખ્ય સુત્રધાર મહેન્દ્ર મોહન ઉર્ફે મોહનલાલ અંબાલાલ પ્રજાપતિ (રહે.ગોરાદ ગામ, પ્રજાપતિવાસ પો.સ્ટ.ગોરાડ તા-જી.મહેસાણા)ને ઝડપી પાડ્યો હતો. મહિલા સહિત ત્રણ વોન્ટેડઆ ઘટનામાં પોલીસે અગાઉ તોસીફભાઈ બચુભાઈ સંધી તથા સરીફાબેન બચુભાઈ સંધી ઝડપાયા હતા. જ્યારે લૂંટેરી દુલ્હન સોનાલીબેન નિલેશ શ્રીવાસ્તવ તથા હેમંતભાઈ ઉર્ફે ભયલુ બારોટ તથા નજીરભાઈ વોન્ટેડ જાહેર કર્યા છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 11:25 am

પાટણના સિદ્ધિ સરોવરમાં મહિલાનો આત્મહત્યાનો પ્રયાસ:ફાયર ટીમ અને સેવકોએ જીવ બચાવ્યો, મહિલાને સારવરા માટે હોસ્પિટલ ખસેડાઈ

પાટણના ઐતિહાસિક સિદ્ધિ સરોવરમાં રવિવારે રાત્રે એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તળાવના બ્યુટીફિકેશનના મજૂરો, કુબેરેશ્વર મહાદેવના સેવકો અને પાટણ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મહિલાનો જીવ બચાવ્યો હતો. મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રવિવારની રાત્રે સિદ્ધિ સરોવરમાં કામ કરતા મજૂરોને 'બચાવો બચાવો'ના અવાજો સંભળાયા હતા. તેમણે તરત જ કુબેરેશ્વર મહાદેવના સેવક તેજસ બારોટને આ અંગે જાણ કરી હતી. તપાસ કરતા જણાયું કે એક મહિલા સરોવરના પાણીમાં ડૂબી રહી હતી. આ ઘટનાની જાણ ફાયર ઓફિસર સ્નેહલને ટેલિફોન દ્વારા કરાતા, ફાયરની ટીમ બોટ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અંધારા અને કડકડતી ઠંડી વચ્ચે સ્નેહલ, તેમની ટીમ અને તેજસ બારોટે બોટમાં બેસી સરોવરની વચ્ચે પહોંચી મહિલાને પાણીમાંથી બહાર કાઢી હતી. પાણીમાં લાંબા સમય સુધી રહેવાને કારણે મહિલાનું શરીર ઠંડીથી અકડાઈ ગયું હતું. સેવકોએ તેમને બ્લેન્કેટ ઓઢાડી હૂંફ આપી હતી. ત્યારબાદ, 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને કિનારે લાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બચાવાયેલી મહિલા શહેરના હાઉસિંગ વિસ્તારમાં રહે છે. માનસિક અસ્થિરતાના કારણે તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ મહિલાને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ફાયર ટીમ અને સ્થાનિક સેવકોની સમયસૂચકતા અને ત્વરિત કાર્યવાહીને કારણે મહિલાનો જીવ બચાવી શકાયો છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 11:05 am

વડોદરામાં ઉત્તરાયણ સુરક્ષા માટે 5,000 નેક બેલ્ટનું વિતરણ:વાહનચાલકોને માર્ગદર્શન અપાયું

મકરસંક્રાંતિના પર્વને ધ્યાનમાં રાખીને, ઉત્તરાયણ દરમિયાન દોરીથી થતા જીવલેણ અકસ્માતોને રોકવા માટે સવિતા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલે વડોદરાના પરિવાર ચાર રસ્તા પાસે વિશેષ જાગૃતિ અને સુરક્ષા અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન અંતર્ગત, હોસ્પિટલ દ્વારા ૫,૦૦૦થી વધુ સેફ્ટી નેક બેલ્ટનું મફત વિતરણ કરવામાં આવ્યું. આ સેફ્ટી નેક બેલ્ટ ખાસ કરીને દોરીથી ગળા અને ચહેરા પર થતી ગંભીર ઇજાઓથી બચાવવા માટે ઉપયોગી સાબિત થાય છે. વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી આ વિતરણ કરવામાં આવ્યું હતું. અભિયાન દરમિયાન, હોસ્પિટલના તબીબો અને સ્ટાફ દ્વારા વાહનચાલકો, દ્વિચક્ર વાહન સવારો તેમજ રાહદારીઓને ઉત્તરાયણ દરમિયાન રાખવાની જરૂરી સાવચેતી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. દોરીથી થતા અકસ્માતોમાં ઘણી વખત ગંભીર ઇજાઓ જીવલેણ સ્થિતિ સર્જી શકે છે, તેથી સેફ્ટી નેક બેલ્ટ પહેરવાની મહત્વતા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો. સવિતા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ આનંદનો તહેવાર છે, પરંતુ થોડી બેદરકારી ભારે નુકસાનનું કારણ બની શકે છે. તેમણે પતંગ ચગાવતા તેમજ માર્ગ પર વાહન ચલાવતા સમયે સુરક્ષાના નિયમોનું પાલન કરવું અતિ આવશ્યક હોવાનું ભારપૂર્વક જણાવ્યું.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 11:02 am

ભરૂચ જેલમાં ડાયાબિટીસ જાગૃતિ કાર્યક્રમ યોજાયો:નિષ્ણાત ડોક્ટરે બંદીવાનોને આપી મહત્વપૂર્ણ માહિતી

ભરૂચ જિલ્લા જેલમાં ડાયાબિટીસ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેલ અધિક્ષક એન.પી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પ્રયાસ સંસ્થા, ભરૂચના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ડાયાબિટીસ નિષ્ણાત ડો. રોહન પટેલે જેલના બંદીવાનોને ડાયાબિટીસ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન ડો. રોહન પટેલે ડાયાબિટીસના લક્ષણો, તેની સારવાર, યોગ્ય આહાર, નિયમિત ચેકઅપ અને જરૂરી તકેદારી અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેલના તમામ બંદીવાનોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને માહિતી મેળવી હતી. કાર્યક્રમના અંતે, પ્રયાસ સંસ્થાના સભ્યો આશિષ બારોટ અને અનિલ વસાવાએ બંદીવાનો વતી ઉપસ્થિત ડાયાબિટીસ નિષ્ણાતનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 11:02 am

સુરેન્દ્રનગર પોલીસનું વિસનગરમાં ફિલ્મી ઢબે ઓપરેશન:ચેક રિટર્ન કેસમાં પોલીસને થાપ આપનાર શખ્સ પાસે દાણા જોવડાવ્યા, ઓળખ કરીને ઉઠાવી લીધો

સુરેન્દ્રનગર પોલીસે ચેક રિટર્ન કેસના એક વોન્ટેડ આરોપીને વિસનગરમાંથી ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. આરોપી લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો. પોલીસે 'દાણા જોવડાવવા'ના બહાને છટકું ગોઠવી તેને દબોચી લીધો હતો. જોરાવરનગરની શાળા નં. 9ની ગલીમાં રહેતા 38 વર્ષીય નિકુંજ વિનુભાઈ પરમાર સામે સુરેન્દ્રનગર ચીફ કોર્ટમાં ચેક રિટર્નના બે કેસ નોંધાયા હતા. ગત નવેમ્બર માસમાં કોર્ટે આરોપીની ગેરહાજરીમાં ચુકાદો આપતા તેને એક વર્ષની કેદની સજા ફટકારી હતી. આરોપી હાજર ન થતાં કોર્ટે તેની સામે પકડ વોરંટ ઇસ્યુ કર્યું હતું. જોરાવરનગર પીઆઈ એચ.જે. ગોહીલની સૂચનાથી બીટ જમાદાર મૂળજીભાઈ મકવાણા આ કેસની તપાસ કરી રહ્યા હતા. તપાસ દરમિયાન તેમને જાણવા મળ્યું કે નિકુંજ જોરાવરનગરની જ એક યુવતીને ભગાડીને લઈ ગયો છે. હાલમાં તેઓ વિસનગર પાસે સવાલા બસ સ્ટેશન નજીક પ્રજાપતિ મહોલ્લામાં મૈત્રી કરારથી રહે છે. આરોપી નિકુંજ 'રાજા મેલડી'ના નામે દાણા જોવાનું કામ કરતો હોવાની માહિતી પોલીસને મળી હતી. આ માહિતીના આધારે પોલીસે તેને પકડવા માટે ખાસ પ્લાન બનાવ્યો. સુરેન્દ્રનગર પોલીસે ફોન કરીને દાણા જોવડાવવાનું કહી છટકું ગોઠવ્યું. વિસનગર પહોંચી પોલીસે દાણા જોવડાવી આરોપીને ઓળખી લીધો અને તેને પકડીને જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 10:59 am

ગોધરાના રગડિયા પ્લોટમાં ગટર સફાઈ શરૂ:સ્થાનિકોની રજૂઆત બાદ નગરપાલિકાએ કામગીરી હાથ ધરી

ગોધરા શહેરના વોર્ડ નંબર 7 માં આવેલા રગડિયા પ્લોટ વિસ્તારના રહીશોને લાંબા સમયથી ચાલી રહેલી ભૂગર્ભ ગટરની સમસ્યામાંથી રાહત મળી છે. સ્થાનિકોની અનેક રજૂઆતો બાદ ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં ગટર સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી રગડિયા પ્લોટ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા ગંભીર બની હતી. ગટરના ગંદા પાણી મુખ્ય માર્ગો પર રેલાતા હોવાથી સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ હતી. આ ગંદા પાણીમાંથી પસાર થવું સ્થાનિક રહીશો અને વાહનચાલકો માટે મુશ્કેલ બન્યું હતું, જેના કારણે રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો હતો. આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આખરે, આ રજૂઆતોને ધ્યાને લઈને ગોધરા નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મશીનરી અને સફાઈ કામદારોની મદદથી ગટરમાં જામ થયેલો કચરો અને ગંદકી દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 10:55 am

મોગલ ધામના મહંત દક્ષાબાએ વડવાળા ધામની મુલાકાત લીધી:દુધઈમાં ગૌશાળાની સેવા જોઈ સંતોષ વ્યક્ત કર્યો

બોટાદ જિલ્લાના તરઘરા સ્થિત મોગલ ધામના મહંત દક્ષાબાએ તાજેતરમાં દુધઈ ગામમાં આવેલા વડવાળા ધામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ધામ ખાતેની ગૌશાળાના પણ દર્શન કર્યા હતા. ગૌશાળામાં ચાલી રહેલી ગૌ સેવાના આયોજન, સ્વચ્છતા અને ગૌ માતા પ્રત્યેની ભાવનાત્મક સેવા જોઈને મહંત દક્ષાબાએ સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ગૌ સેવા જેવા ધાર્મિક અને સામાજિક કાર્ય બદલ વડવાળા ધામના સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા. આ મુલાકાત સમયે ધામના સેવાભાવી કાર્યકરો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 10:50 am

રત્નકલાકાર 5.03 લાખની નકલી નોટો સાથે પકડાયો:હીરાની પરખ કરનાર રત્નકલાકાર નકલી નોટોના કાળા કારોબારમાં એક વર્ષથી સંડોવાયેલો

હીરા નગરી સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે છેલ્લા 10 વર્ષથી સુરતમાં સ્થાયી થયેલા અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક રત્નકલાકારને પોલીસે રૂપિયા 5.03 લાખની કિંમતની બનાવટી(નકલી) ભારતીય ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની હીરા મજૂરીની આડમાં છેલ્લા એક વર્ષથી આ કાળા કારોબારમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મૂળ અમરેલીનો શખ્સ ભીડભાડવાળા વિસ્તારોમાં નોટો વટાવવા જતોપકડાયેલ આરોપી પરેશ પુનાભાઇ હડીયા (ઉંમર 27 વર્ષ) મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ઘાંડલા ગામનો વતની છે અને હાલ પુણાગામ વિસ્તારમાં રહે છે. તે છેલ્લા 6 વર્ષથી વરાછાની જાણીતી હીરાની કંપનીમાં કામ કરતો હતો. તે ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓ જેવી કે શાકમાર્કેટની લારીઓ, નાના ગલ્લાઓ અને છૂટક દુકાનદારોને નિશાન બનાવતો હતો, જેથી ભીડના લાભમાં કોઈ તેની નકલી નોટો પારખી ન શકે. 5.55 લાખનો મુદ્દામાલ અને વાહન જપ્તપોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા 5,55,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં રૂપિયા 5,03,500ની નકલી નોટો, એક મોટોરોલા કંપનીનો મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ હોન્ડા સાઈન મોટરસાયકલ (GJ05LU5480)નો સમાવેશ થાય છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી નોટોનો જથ્થો આરોપી ક્યાંથી લાવતો હતો અને તેની સાથે અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે. નકલી નોટોના કાળા કારોબારમાં એક વર્ષથી સંડોવાયેલોઆશ્ચર્યની વાત એ છે કે, આરોપી છેલ્લા 10 વર્ષથી પોતાના પરિવાર સાથે સુરતમાં સ્થાયી થયો હતો અને સામાન્ય રત્નકલાકાર તરીકે જીવન જીવતો હતો. પરંતુ વધુ પૈસા કમાવવાની લાલચે તેને ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલી દીધો હતો. છેલ્લા એક વર્ષથી તે સતત પોલીસની નજરથી બચીને આ પ્રવૃતિ કરી રહ્યો હતો, પરંતુ અંતે તે કાયદાના શિકંજામાં આવી ગયો છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 10:50 am

RMCનાં આરોગ્ય કેન્દ્રોમાં નિઃશુલ્ક ડાયાલિસિસ:4 આરોગ્ય કેન્દ્રમાં 4 માસમાં 180 દર્દીએ લાભ મેળવ્યો; અંદાજે રૂ. 54,000થી વધુની બચત કરી

રાજકોટ શહેરમાં વસતા કિડનીની બીમારીથી પીડાતા મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓ માટે રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા એક રાહતના સમાચાર સામે આવ્યા છે. શહેરના અલગ-અલગ 4 વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્રો પર હવે ડાયાલિસિસની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. છેલ્લા 4 મહિનાના ટૂંકા ગાળામાં અંદાજે 180 જેટલા દર્દીઓએ આ સેવાનો લાભ લીધો છે અને અંદાજે રૂ. 54,000થી વધુની બચત કરી છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં જે ડાયાલિસિસ માટે દર્દીઓને મોટો આર્થિક બોજ સહન કરવો પડે છે, તે ગુણવત્તાયુક્ત સારવાર હવે પાલિકાના કેન્દ્રો પર નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવી છે. દરેક સેન્ટર પર 8 અત્યાધુનિક મશીનો કાર્યરતઃ અધિકારીઆરોગ્ય અધિકારી ડો જયેશ વાંકાણીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મહાનગરપાલિકાના કુલ 4 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર આ સુવિધા કાર્યરત કરવામાં આવી છે. જેમાં નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, કોઠારિયા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર અને નાનામવા આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે. આ ચારેય કેન્દ્રો પર અમદાવાદની પ્રખ્યાત કિડની ઇન્સ્ટિટ્યૂટ (IKDRC)ના સહયોગથી ડાયાલિસિસ મશીન કાર્યરત કરવામાં આવ્યા છે. દરેક સેન્ટર પર 2 મશીન મળીને કુલ 8 અત્યાધુનિક મશીનો દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટમાં મહાનગરપાલિકાએ મશીનરી અને RO પ્લાન્ટ જેવી આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડી છે, જ્યારે ટેકનિકલ અને મેડિકલ સ્ટાફનો સપોર્ટ IKDRC સંસ્થા દ્વારા આપવામાં આવ્યો છે. દર્દીઓને આર્થિક રીતે મોટી રાહતવધુમાં તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં એક ડાયાલિસિસ કરાવવાનો ખર્ચ રૂ. 2500થી રૂ. 5000 સુધીનો થતો હોય છે. જો તેમાં જરૂરી દવાઓ અને ઇન્જેક્શનનો ખર્ચ ઉમેરવામાં આવે તો આ આંકડો રૂ. 7000થી રૂ. 8000 સુધી પહોંચી શકે છે. કિડનીના દર્દીઓને અઠવાડિયામાં 2થી 3 વખત ડાયાલિસિસ કરાવવું પડતું હોય છે, જે મધ્યમ વર્ગના પરિવાર માટે આર્થિક રીતે કમરતોડ સાબિત થાય છે. રાજકોટ મહાપાલિકાના આ કેન્દ્રો પર ડાયાલિસિસની સાથે સાથે આવશ્યક દવાઓ પણ મફતમાં આપવામાં આવે છે, જે દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. 4 મહિનામાં 180 દર્દીઓને આશરે રૂ. 54,000થી વધુનો સીધો આર્થિક લાભ મળ્યો છે. સારવાર મેળવવાની પ્રક્રિયા અને સમયડાયાલિસિસની પ્રક્રિયા સમય માંગી લે તેવી હોય છે. એક ડાયાલિસિસ સાયકલ પૂર્ણ કરવામાં ઓછામાં ઓછી 4થી 5 કલાકનો સમય લાગે છે. આથી, દરેક મશીન પર બે શિફ્ટમાં દિવસ દરમિયાન કુલ 2 દર્દીઓની સારવાર શક્ય બને છે. આરોગ્ય કેન્દ્રોનો સમય સવારે 9થી 1 અને સાંજે 4થી 6 વાગ્યા સુધીનો રહે છે. ત્યારે લાભાર્થીઓએ 9થી 6ના સમય દરમિયાન એક દિવસ અગાઉ એડવાન્સમાં જાણ કરવાની રહે છે, ત્યારબાદ અપોઈન્ટમેન્ટ સિસ્ટમ દ્વારા તેમનો સમય નિર્ધારિત કરવામાં આવે છે. સેવા મેળવવા માટેની શરતોચેપી રોગોના ફેલાવાને રોકવા માટે તંત્ર દ્વારા ચોક્કસ નિયમો રાખવામાં આવ્યા છે. ડાયાલિસિસ દરમિયાન દર્દીના લોહીનું શુદ્ધિકરણ થતું હોવાથી, ઇન્ફેક્શન ફેલાવાની શક્યતા વધુ હોય છે. આથી, જે દર્દીનો હિપેટાઈટીસ સી (Hepatitis C) નો રિપોર્ટ નેગેટિવ હોય તેવા જ દર્દીઓને અહીં પ્રવેશ આપવામાં આવે છે. બ્લડમાં કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન ન હોવું જોઈએ તે અનિવાર્ય છે. જે દર્દીઓ હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય અને જો તેમનો રિપોર્ટ નેગેટિવ હોય, તો તેઓ પણ આ સરકારી સેન્ટર પર શિફ્ટ થઈને મફત સેવાનો લાભ લઈ શકે છે. નિઃશુલ્ક સેવાનો લાભ લેવા અપીલઉલ્લેખનીય છે કે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ પણ મનપાની આ નિઃશુલ્ક સેવાનો લાભ મેળવી શકે છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે મોટાભાગના દર્દીઓ PM-JAY કાર્ડ અંતર્ગત ખાનગી હોસ્પિટલોમાં જતા હોય છે, પરંતુ પાલિકાના આ કેન્દ્રો પર પણ નિષ્ણાંત સંસ્થા દ્વારા જ સારવાર અપાય છે, તેથી વધુને વધુ લોકોએ આ નિઃશુલ્ક સેવાનો લાભ લેવો જોઈએ.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 10:35 am

મોરબીમાં AAPની ‘પરિવર્તન’ સભામાં ભડકો:સહ-પ્રભારીનું રાજીનામું, પક્ષ પર ‘ગુંડારાજ’ અને ‘ભ્રષ્ટાચાર’ના ગંભીર આક્ષેપો

મોરબીના રવાપર રોડ પર આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત પરિવર્તન સભામાં ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો. એક તરફ ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી મંચ પરથી પરિવર્તનની વાતો કરી રહ્યા હતા, તો બીજી તરફ પક્ષના જ સહ-પ્રભારી હિતુભા રાઠોડે પક્ષને 'ગુંડાઓ અને અમીરોની પાર્ટી' ગણાવી રાજીનામું ધરી દેતા મોરબીનું રાજકારણ ગરમાયું છે. ‘AAPમાં ભાજપ કરતા પણ વધુ ભ્રષ્ટાચાર’સભા દરમિયાન ભારે હોબાળા વચ્ચે સહ-પ્રભારી હિતુભા રાઠોડે પોતાની જ પાર્ટીની પોલ ખોલતા આક્ષેપ કર્યો હતો કે, આમ આદમી પાર્ટીમાં અંદરખાને ભાજપ કરતા પણ વધુ ભ્રષ્ટાચાર ચાલે છે. અહીં નાના કાર્યકર્તાઓની કોઈ કિંમત નથી. તેમણે લોકોને અપીલ કરતા કહ્યું હતું કે, કોઈએ આ પાર્ટીમાં જોડાવું નહીં કારણ કે આ માત્ર અમીરોની પાર્ટી છે, ગરીબોની નહીં. 'દિલ્હીથી ગુંડા લાવી ગુંડારાજ ચલાવશે'હિતુભા રાઠોડને સભાના સ્ટેજ સુધી જવા ન દેવાતાં તેમણે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ગોપાલ ઇટાલિયાના જૂના નિવેદનોને ટાંકીને જણાવ્યું કે, જે પક્ષ પોલીસને ‘ટોમી’ ગણે છે અને પટ્ટા ગળામાં પહેરાવવાની વાત કરે છે, જો તેની સરકાર આવશે તો દિલ્હીથી ગુંડાઓ લાવીને ગુજરાતમાં ગુંડારાજ ચલાવશે. આ તાનાશાહી સહન ન થતા તેમણે પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો હોવાનું જાહેર કર્યું હતું. રસ્તા પર AAPના ખેસ રઝળ્યા, લોકોએ કહ્યું- આના પર ચાલોસભાના સ્થળની બહાર પણ દૃશ્યો ચોંકાવનારા હતા. એક તરફ પક્ષ પરિવર્તનના દાવા કરતો હતો, ત્યારે બીજી તરફ રસ્તા પર આમ આદમી પાર્ટીના ખેસ રઝળતા જોવા મળ્યા હતા. ત્યાં હાજર લોકોએ પણ પક્ષની આ ખેંચતાણ જોઈને રોષે ભરાઈને કહ્યું હતું કે, આ ખેસ પર ચાલો. પક્ષના આંતરિક ડખાને કારણે સભાનો મૂળ ઉદ્દેશ્ય બાજુ પર રહી ગયો હતો અને ચારેબાજુ રાજીનામા અને આક્ષેપોની ચર્ચા જોવા મળી હતી. પક્ષમાં ભંગાણ: સહ-પ્રભારી હિતુભા રાઠોડનું રાજીનામુંસભા દરમિયાન જ એક મોટો વિવાદ સામે આવ્યો હતો. આમ આદમી પાર્ટીના સહ-પ્રભારી હિતુભા રાઠોડને સ્ટેજ સુધી જવા ન દેવાતા હોબાળો મચ્યો હતો. ત્યાર બાદ તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દેતા સનસનાટી મચી ગઈ છે. હિતુભા રાઠોડના ગંભીર આક્ષેપો: જો ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવશે તો તેની સાથે 'ગુંડારાજ' આવશે. ગોપાલ ઇટાલિયાએ અગાઉ પોલીસ માટે જે પ્રકારની ભાષા વાપરી હતી અને પટ્ટા ગળામાં પહેરાવવાની વાત કરી હતી, તેવી માનસિકતા ધરાવતા લોકો સાથે હું કામ કરી શકું તેમ નથી. ગોપાલ ઇટાલિયાના સરકાર પર પ્રહારબીજી તરફ, મંચ પરથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, ભાજપના ધારાસભ્યોના કામ અધિકારીઓ કરતા નથી. જો વેપારીઓ અને કારખાનેદારો દબાયેલા રહેશે તો પરિવર્તન નિશ્ચિત છે. જોકે, પક્ષની અંદર જ ઉઠેલા આ બળવાએ ઇટાલિયાના દાવાઓ સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે. મોરબીના રવાપર રોડ પર આવેલા બાપા સીતારામ ચોક ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક વિશાળ 'પરિવર્તન સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જોકે, એક તરફ પક્ષે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તો બીજી તરફ પક્ષના જ સહ-પ્રભારીએ ગંભીર આક્ષેપો સાથે રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે. મોરબીમાં AAPએ શક્તિપ્રદર્શન તો કર્યું છે, પરંતુ આંતરિક અસંતોષ અને ગંભીર આક્ષેપો પક્ષ માટે આગામી સમયમાં પડકારજનક સાબિત થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 10:34 am

પાટણમાં 4.04 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:બે શખ્સો અંધારાનો લાભ લઈ ખેતરોમાં નાસી છૂટ્યા, ઈક્કો સહિતનો મુદ્દામાલ જપ્ત

પાટણ એલ.સી.બી. પોલીસે નાના રામણદા ગામના કાચા રસ્તેથી રૂ. 4.04 લાખનો વિદેશી દારૂ અને એક ઈક્કો ગાડી જપ્ત કરી છે. પોલીસને જોઈને ગાડીમાં સવાર બે શખ્સો અંધારાનો લાભ લઈ ખેતરોમાં નાસી છૂટ્યા હતા. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાલીસણા વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ દરમિયાન પાટણ એલ.સી.બી. ટીમને બાતમી મળી હતી કે, સફેદ કલરની ઈક્કો ગાડી (નંબર GJ 08 CR 2184)માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો છે અને તે ચડાસણા ગામથી બાલીસણા તરફ આવવાની છે. આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી વોચ ગોઠવી હતી. ચડાસણા તરફથી આવતી શંકાસ્પદ ઈક્કો ગાડીને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ગાડી નાના રામણદા ગામ તરફના કાચા નેળીયા રસ્તા પર હંકારી મૂકી હતી. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા કેનાલ પાસે નેળીયામાં ગાડી મૂકીને ચાલક અને તેની બાજુમાં બેઠેલો અજાણ્યો શખ્સ અંધારાનો લાભ લઈ બાવળની ઝાડીઓમાં નાસી ગયા હતા. પોલીસે ગાડીમાં તપાસ કરતા રોયલ સ્ટેગ, ઓફિસર્સ ચોઈસ, મેકડોવેલ્સ નં. 1 અને વ્હાઈટ લેસ ઓરેન્જ ફ્લેવર વોડકા સહિતની કુલ 1035 બોટલો મળી આવી હતી. આ ઉપરાંત કિંગફિશર બીયરના 120 ટીન પણ જપ્ત કરાયા હતા. કુલ રૂ. 2,54,435ની કિંમતનો વિદેશી દારૂ અને રૂ. 1,50,000ની ઈક્કો ગાડી મળી કુલ રૂ. 4,04,435નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે એલ.સી.બી. કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ માનસિંહ દ્વારા બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરાર બંને શખ્સો વિરુદ્ધ ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. શર્મિષ્ઠાબેન પટેલને સોંપી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 10:26 am

પાટણમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી:ઉત્તરના પવનો ફૂંકાતા લોકો ઠૂઠવાયા, આગામી દિવસોમાં ઠંડી વધશે

પાટણ શહેરમાં ઠંડીનું જોર વધ્યું છે. ઉત્તર દિશાના પવનોની અસર હેઠળ સોમવારે સવારે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો આવતા ઠંડીનો પ્રભાવ વધ્યો છે. સોમવારે પાટણનું મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉત્તર દિશામાંથી ફૂંકાતા પવનોની ગતિમાં વધારો થવાને કારણે તાપમાનનો પારો નીચે ગયો છે. વહેલી સવાર અને રાત્રિના સમયે શહેરમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી પરોઢે તાપમાન 11 થી 12 ડિગ્રીની આસપાસ રહેતા વાહનચાલકો અને વહેલી સવારે કામ અર્થે નીકળતા લોકોએ તીવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો. શહેરમાં ઠંડી વધવા સાથે નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ જોવા મળી રહી છે. શહેરના જાહેર માર્ગો અને સોસાયટીઓના કોમન પ્લોટમાં મોર્નિંગ વોક માટે નીકળતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. મહિલાઓ, યુવાનો, બાળકો અને વૃદ્ધો વહેલી સવારે કસરત, યોગા અને પ્રાણાયામ કરતા જોવા મળે છે. ઠંડીથી રક્ષણ મેળવવા માટે શહેરી વિસ્તારોમાં લોકો વહેલી સવારે અને મોડી રાત્રે લાકડા તેમજ છાણાં સળગાવી તાપણાં કરતા જોવા મળી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 10:25 am

વાહન ચોરીના આરોપીને PASA હેઠળ અટકાયત:પોરબંદર પોલીસે આરોપીને સુરત જેલમાં મોકલ્યો

પોરબંદર પોલીસે વાહન ચોરી સહિત મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા એક આરોપીને PASA હેઠળ અટકાયત કરી સુરત જેલમાં મોકલ્યો છે. આ કાર્યવાહી જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશથી કરવામાં આવી હતી. આરોપી મનીષ ઉર્ફે મોબાઇલ ગીગાભાઇ મઢવી કિર્તીમંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હતો. તેની સામે PASA હેઠળ અટકાયત માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્તના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટે તેની અટકાયતનો હુકમ કર્યો હતો. ત્યારબાદ, સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા વોરંટની બજવણી કરીને આરોપી મનીષ મઢવીને સુરત જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 10:20 am

તીથલ શાંતિનિકેતન કેન્દ્રના મુનિરાજ કીર્તિચંદ્ર વિજયજી કાળધર્મ પામ્યા:82 વર્ષની વયે સમાધિપૂર્વક દેહત્યાગ કર્યો

તીથલ શાંતિનિકેતન સાધના કેન્દ્રના યોગસાધક અને વિદ્વવદ્વવર્ય મુનિરાજ કીર્તિચંદ્ર વિજયજી મહારાજ સાહેબ (બંધુત્રિપુટી) આજે વહેલી સવારે 82 વર્ષની વયે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. તેઓ છેલ્લા લાંબા સમયથી તીથલ સ્થિત જૈન ઉપાશ્રય – શાંતિનિકેતન સાધના કેન્દ્ર સાથે સંકળાયેલા હતા. તેમણે આધ્યાત્મિક સાધના, તપશ્ચર્યા અને ઉપદેશ દ્વારા અનેક ભક્તોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુનિરાજ કીર્તિચંદ્ર વિજયજીના કાળધર્મથી જૈન સમુદાયમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ભક્તો અને અનુયાયીઓએ તેમના શાંતિમય જીવન અને આધ્યાત્મિક યોગદાનને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી છે. મુનિરાજ કીર્તિચંદ્ર વિજયજીની પાલખી અને અંતિમયાત્રા 12મી જાન્યુઆરી 2026, સોમવારના રોજ બપોરે 3 વાગે શાંતિનિકેતન સાધના કેન્દ્ર, તીથલથી નીકળશે. ત્યારબાદ તીથલના દરિયાકિનારે તેમની અંતિમ વિધિ અને અગ્નિસંસ્કાર કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 10:17 am

પાણી-ગટરની લાઈનો ઉપર-નીચે નાખી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા:SMCની કામગીરીને લઈ રહીશોમાં રોષ, બે મહિનાથી ખોદેલા ખાડામાં રિક્ષા પલટી, જાનહાનિનો ભય છતાં તંત્ર નિંદ્રામાં

સુરત મહાનગરપાલિકાના ડીંડોલી કેનાલ રોડ વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં પીવાના પાણીની લાઈન અને ગટરની લાઈન એકબીજાની અત્યંત નજીક અને ઉપર-નીચે નાખવામાં આવી રહી છે. પાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતા આ અણઘડ કામને કારણે ભવિષ્યમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાની અને ભયાનક રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે. ગાંધીનગરની ઘટના બાદ પણ તંત્ર ન જાગ્યુંગાંધીનગરમાં ફેલાયેલા રોગચાળામાંથી કોઈ બોધપાઠ લેવાને બદલે સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો જાણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હોય તેમ જણાય છે. એક તરફ નવી ગટર લાઈન નખાઈ રહી છે, તો બીજી તરફ તેની સમાંતર જ પાણીની પાઈપલાઈન નાખવામાં આવી રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, પાણીની લાઈન ઉપર બીજી પાણીની લાઈન અને તેની ઉપર ફરી ગટરની લાઈન નાખીને પાઈપલાઈનોના થર ખડકવામાં આવ્યા છે. ત્રણ-ત્રણ પાઈપલાઈનો એકસાથે નાખી દેવાઈઆ વિચિત્ર એન્જિનિયરિંગ જોઈને અંબિકા વિલાના રહીશો પણ ચોંકી ઉઠ્યા છે. ત્રણ-ત્રણ પાઈપલાઈનો એકસાથે નાખવામાં આવી છે, પરંતુ કઈ લાઈન ક્યાં જશે અને તેનો હેતુ શું છે, તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પાલિકાના એન્જિનિયરોએ કેવા પ્રકારનું પ્લાનિંગ કર્યું છે કે ગટર અને પાણીની લાઈનો આ રીતે ભેગી કરી દીધી છે, તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. ખબર નથી પડતી આ લોકોને આગળ શું કરવાનું છેઃ પ્રદીપભાઈઅંબિકા વિલાના રહીશ પ્રદીપભાઈએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અહીંયા હું અંબિકા વિલામાં રહું છું. લગભગ દોઢેક મહિનાથી SMC વાળા અહીં ખોદીને ગયા છે. પાણીની લાઈન, ઉપર ગટરની લાઈન, ઉપર પાછી પાણીની લાઈન. આવી રીતે ખબર નહીં લાઈન ઉપર લાઈન કરી છે આ લોકોએ. ખબર નથી પડતી આ લોકોને આગળ શું કરવાનું છે. આ કોઈ નિર્ણય પણ નથી લઈ શકતા SMC વાળા. તો જરા ધ્યાન આપે આ બાબતનું અને આવી આવીને જોઈ જાય છે અને ફોટા પાડીને જાય છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 10:13 am

ઉત્તરાયણ પૂર્વનું કાઉનડાઉન શરૂ:ઉત્તરાયણ પર્વ નિમિત્તે શહેરમાં ખરીદીનો અભૂતપૂર્વ માહોલ જોવા મળશે, બાળકો માટે કાર્ટુન વાળી પતંગો, 2026 વેલકમ, આઈ લવ ઈન્ડિયા, જેવી અનેક વેરાયટીઓ ઉપલબ્ધ

મકરસંક્રાંતિ આ પર્વ આડે હવે 2 દિવસ બાકી રહ્યા છે ત્યારે મકરસંક્રાંતિ પર્વને લઈને અલગ અલગ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પતંગ પર્વને લઈને બાળકો યુવાનો સહિતનાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ઉતરાયણ પર્વને ગણતરીના કલાકો બાકી છે ત્યારે પતંગરસિયાઓમાં પતંગ, દોરી, ચશ્મા, ટોપી સહિતની વસ્તુઓ બજારમાં ખરીદી કરી રહ્યા છે, પતંગ-દોરીના ભાવમાં વધારો જોવા મળ્યો ગત વર્ષે 5 પતંગની કિંમત રૃપિયા 15થી રૂપિયા 20 હતી જેના માટે આ વર્ષે હવે રૂપિયા 20 થી રૃપિયા 25 ચૂકવવા પડશે, આમ, પંજે 5-10 રૂપિયાનો વધારો થયો છે આમ, પતંગ રૂ.6 થી લઈ 250 સુધી બજારમાં પતંગના પંજા ઉપલબ્ધ છે, આ જ રીતે હજાર વારની ફિરકીની કિંમત ગત વર્ષે રૃપિયા 100 હતી, પતંગની ખરીદી અને દોરી ઘસાવવા માટે આવનારાનું પ્રમાણ પણ હજુ સાધારણ જોવા મળી રહ્યું છે, આ વર્ષના પતંગ- દોરીના ભાવો આ વર્ષે પતંગ દોરીના ભાવમાં 10થી 15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે જેમાં 1000 વાર દોરીના 100 થી લઈ 300 સુધી, 2000 વાર દોરીના 200 થી 700 અને 5,000 વાર દોરીના 500થી હજાર સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે 100 નંગ પતંગના ભાવો જોઈતો, સફેદ ચિલ રૂપિયા 300, કલર ચિલ રૂપિયા 360, કલર ચિલ પ્રિન્ટના રૂપિયા 420, લેમન ચિલ પ્રિન્ટના રૂપિયા 420, સફેદ પ્રિન્ટ ચિલના રૂપિયા 360, સફેદ ચાંદ ચિલના રૂપિયા 380, કલર ચાંદ ના રૂપિયા 420 હોલસેલ ભાવો જોવા મળ્યા છે, અવનવી વેરાયટીઓ જોવા મળી રહી પતંગના વેચાણ સાથે સંકળાયેલા ભાવનગરના પરેશભાઈ થાવરાણીએ જણાવ્યું કે આ વર્ષે પતંગ વેરાયટીઓ જોવા મળી રહી છે જેમાં બાળકો માટે કાર્ટુન વાળી પતંગો, 2026 વેલકમ, આઈ લવ ઈન્ડિયા, જેવી અનેક વેરાયટીઓ ઉપલબ્ધ છે, આમ ઉતરાયણ પર્વ બ્યુગલ, ગેસના ફુગ્ગાઓ, ડોક્ટર પટ્ટી, ચશ્મા, ટોપી સહિતની વસ્તુઓનો લોકો ખરીદી કરી રહ્યા છે, જોકે, ભાવ વધારા છતાં આ વખતે પતંગ-દોરીનું વેચાણ ગત વર્ષ કરતાં વધશે તેમ પતંગબજારના વેપારીઓનું માનવું છે, નાના મોટા દરેક ને ટેરેસ પર પતંગ બાજી કરવા અવશ્ય જાય છે પતંગના હોલસેલના વેચાણ સાથે સંકળાયેલા ભાવનગરના શૈલષભાઈએ જણાવ્યું કે, કમાન, વાંસ, કાગળ સહિતના કાચા માલ તેમજ મજૂરીની કિંમતમાં વધારો થતાં પતંગની કિંમત આ વખતે 10 ટકા સુધી વધી ગઇ છે આ ઉપરાંત વખતે ઉત્તરાયણમાં પતંગનું વેચાણ સારું એવું થશે તેવી ઘરણાં વ્યક્ત કરી હતી આ વખતે પતંગની વેરાયટીઓમાં નાના નાના પતંગો લોકો ભગવાન શણગાર કરતા હોય છે ડેકોરેશન કરતા હોય છે, આ વર્ષે પતંગ ખંભાત, નડિયાદ, સુરત, બરોડા તથા અમદાવાદની અલગ અલગ ફેન્સી પતંગો બજારમાં વેચાણ અર્થે લાવ્યા છીએ, નાના મોટા દરેક ને ટેરેસ પર પતંગ બાજી કરવા અવશ્ય જાય છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 10:11 am

ગાંધીનગરમાં દશનામ ગોસ્વામી સમાજનું સ્નેહમિલન અને ઇનામ વિતરણ:તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, યુવાનોને સમાજમાં યોગદાન આપવા હાકલ

ગાંધીનગરમાં દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સ્નેહમિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટનગરમાં નવા વસેલા સમાજના પરિવારો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ગાંધીનગરના સેક્ટર 22 સ્થિત રંગ મંચ ખાતે રવિવારે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક વર્ષની પરીક્ષામાં સફળ થયેલા દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દશનામ ગોસ્વામી સમાજની સલાહકાર સમિતિના અધ્યક્ષ સંજયભારતી ગોસ્વામીએ યુવાનોને સમાજ કાર્યોમાં આગળ આવીને સહયોગ આપવા હાકલ કરી હતી. દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ હિતેશભારતી કાનાભારતી ગોસ્વામીએ સમાજને સંગઠિત કરવા માટે સક્રિય યોગદાન આપવા સભ્યોને સૂચન કર્યું હતું. તેમણે ઉપસ્થિત પરિવારજનોને અપીલ કરી હતી કે ગાંધીનગરમાં નવા વસેલા અન્ય પરિવારોને પણ સમાજ દ્વારા દર વર્ષે યોજાતા વિવિધ સમારંભો અને પ્રવૃત્તિઓથી અવગત કરાવવામાં આવે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મંત્રી મૃગેશભારતી ગોસ્વામી, પ્રદીપગીરી ગોસ્વામી સહિત સમાજના અગ્રણીઓ, હોદ્દેદારો અને સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 10:03 am

ગોધરામાં બ્રહ્માકુમારી પરિવારનું સ્નેહમિલન યોજાયું:સુરેખા દીદીના જન્મદિવસ અને રાજરુષિ ભવનના વાર્ષિક દિવસની ઉજવણી

ગોધરામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય પરિવાર દ્વારા રાજયોગીની સુરેખા દીદીના જન્મદિવસ અને રાજરુષિ ભવન, ગોધરાના વાર્ષિક દિવસ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજઋષિ રિટ્રીટ સેન્ટર, છારીયા ખાતે યોજાયો હતો. આ પ્રસંગે કેનેડાથી બીકે નવીનભાઈ અને વસંત મસાલાના ડિરેક્ટર બીકે ઓમપ્રકાશભાઈ શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સુરેખા દીદી અને ગોધરા પરિવાર સાથેના પોતાના અનુભવો શેર કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. સુખશાંતિ ભવન, અમદાવાદથી રાજયોગીની અમરબેન પણ હાજર રહ્યા હતા. તેમની સાથે શહેરાથી બીકે રતનબેન, દાહોદથી બીકે કપિલાબેન, ઝાલોદથી બીકે મીતાબેન અને લુણાવાડાથી બીકે જ્યોત્સનાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સૌએ દીદીજીને ઉત્તમ સ્વાસ્થ્ય અને નિરોગી જીવન માટે શુભેચ્છાઓ આપી હતી અને સુરેખા દીદી સાથેના તેમના સ્મરણો રજૂ કર્યા હતા. બીકે સુરેખા દીદીએ સમગ્ર બ્રાહ્મણ પરિવારને બાબાની મુરલી ક્યારેય ન ભૂલવા જણાવ્યું હતું. તેમણે મળેલ શુભકામનાઓ અને આશીર્વાદ બદલ પરિવારના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. દીદીએ નવું વર્ષ સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે તેવી પ્રાર્થનાઓ સાથે સૌને નૂતન વર્ષ 2026ના પ્રવેશની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ સ્નેહમિલન કાર્યક્રમમાં પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના 15 સેવાકેન્દ્રો અને 200થી વધુ ગીતા પાઠશાળાઓના 800થી વધુ બ્રહ્માકુમાર ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. સૌએ ખૂબ ઉમંગ અને ઉત્સાહથી સ્નેહમિલન મનાવી, ભોજન પ્રસાદી સ્વીકારી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે બીકે લક્ષ્મણભાઈ, દેસાઈભાઈ, કનુભાઈ, શૈલેષભાઈ, કેતનભાઈ, ચિરાગભાઈ, સુરેશભાઈ અને શંકરભાઈ સહિતના સભ્યોએ સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીકે ઈલા દીદી, સોનલ દીદી અને અન્ય બ્રહ્માકુમારી બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 9:57 am

હિંમતનગર નાગરિક બેંક ચૂંટણી: 13માંથી 12 જૂના ડિરેક્ટરનો દબદબો રહ્યો:એક નવા ડિરેક્ટરની એન્ટ્રી, પંચ વર્ષીય ટર્મ માટે પરિણામ જાહેર

સાબરકાંઠા જિલ્લાની પ્રતિષ્ઠિત હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. 13 બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી 12 જૂના ડિરેક્ટર્સ ફરી ચૂંટાયા છે, જ્યારે એક નવા ડિરેક્ટરની એન્ટ્રી થઈ છે. આ ચૂંટણીમાં 13 બેઠકો માટે કુલ 42 ઉમેદવારો મેદાનમાં હતા. ગઈકાલે યોજાયેલા મતદાનમાં 32,661 નોંધાયેલા મતદારોમાંથી 12,887 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતગણતરી રાત્રે 8 વાગ્યા બાદ શરૂ કરવામાં આવી હતી અને અંદાજે પાંચ કલાકથી વધુ સમય બાદ મોડી રાત્રે પરિણામો જાહેર થયા હતા. ચૂંટણી અધિકારી પરીક્ષિત વખારિયાએ આ માહિતી આપી હતી. વિજેતા ડિરેક્ટર્સમાં સામાન્ય વિભાગમાંથી 10, મહિલા વિભાગમાંથી 2 અને અનુસૂચિત જાતિ/જનજાતિ વિભાગમાંથી 1 ઉમેદવારનો સમાવેશ થાય છે. આ ડિરેક્ટર્સ 2026 થી 2031 સુધીના પાંચ વર્ષના કાર્યકાળ માટે સેવા આપશે. બેંકમાં 'વિકાસ પેનલ'ના 13 માંથી 12 ડિરેક્ટર્સ વિજયી થયા છે. 13મા ડિરેક્ટર તરીકે અમૃત પુરોહિત વિજયી થયા હતા, જેઓ નવા ચહેરા તરીકે ચૂંટાયા છે. સામાન્ય વિભાગના વિજેતા ઉમેદવારો અને તેમને મળેલા મત નીચે મુજબ છે:

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 9:38 am

ગોધરાના વિશ્વકર્મા ચોકમાં રોડનું કામ શરૂ:લાંબા સમયથી બિસ્માર માર્ગની સમસ્યાનો અંત આવશે

ગોધરા શહેરના વ્યસ્ત વિશ્વકર્મા ચોક અને જૂની પોસ્ટ ઓફિસ નજીકના બિસ્માર માર્ગની સમસ્યાનો હવે અંત આવશે. ગોધરા નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં નવીન ડામર રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વિસ્તાર ગોધરા શહેરનો મુખ્ય માર્ગ ગણાય છે. છેલ્લા ઘણા સમયથી આ રસ્તો અત્યંત ખરાબ હાલતમાં હતો. રસ્તા પરના ખાડાઓને કારણે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી. અકસ્માતનો ભય, ધૂળની ડમરીઓ અને વાહન વ્યવહારમાં અવરોધ જેવી સમસ્યાઓથી સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓ પણ પરેશાન હતા. સ્થાનિકોની રજૂઆતો અને નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને, ગોધરા નગરપાલિકાએ આ માર્ગ પર નવીન ડામર રોડ બનાવવાનું આયોજન કર્યું હતું. મોડી રાત્રે મશીનરી અને મજૂરો દ્વારા રોડના નવીનીકરણની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 9:19 am

14 ડિગ્રીમાં અમરેલી ઠૂંઠવાયું, શહેરમાં કરફ્યૂ જેવો માહોલ:લોકોએ બહાર નીકળવાનું ટાળી તાપણાનો સહારો લીધો, આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા

અમરેલી જિલ્લામાં મોડી રાતથી વહેલી સવાર સુધી ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. આજે રાત્રે 14 ડિગ્રી તાપમાનના કારણે શહેરી વિસ્તારોમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં લોકોએ બહાર નીકળવાનું ટાળીને તાપણાનો સહારો લઇ રહ્યા છે. ઠંડા પવનો ફૂંકાતા લોકો ધ્રુજ્યાસમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં આવેલા ફેરફારને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. ખાસ કરીને સવાર અને રાત્રિના સમયે ઠંડીની તીવ્રતા વધુ અનુભવાઈ રહી છે. ઠંડા પવનો ફૂંકાવાને કારણે લોકો ગરમ વસ્ત્રો પહેરવા મજબૂર બન્યા છે. ઠંડીના કારણે સન્નાટાભર્યો માહોલઅમરેલી જિલ્લામાં ધારી ગીર જંગલ વિસ્તારમાં સૌથી વધુ ઠંડી પડી રહી છે. અમરેલી શહેર ઉપરાંત દરિયાકાંઠાના રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા, લીલીયા, લાઠી, બાબરા, બગસરા, વડિયા અને કુંકાવાવ સહિતના મોટાભાગના વિસ્તારોમાં સતત ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે સન્નાટાભર્યો માહોલ છવાયો છે. તંદુરસ્ત રહેવા માટે નિયમિત વોકિંગ કરવું: ભૂપત જોષી દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા ભૂપત જોષી જણાવે છે કે, વહેલી સવારે ઠંડીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. 70 વર્ષની ઉંમર હોવા છતાં તેઓ સવારે 5 વાગ્યે 6 કિલોમીટર સુધી વોકિંગ માટે નીકળે છે. તેમણે યુવાનોને પણ શિયાળામાં તંદુરસ્ત રહેવા માટે નિયમિત વોકિંગ કરવાની અપીલ કરી હતી. આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતાહવામાન વિભાગના અનુમાન મુજબ, ઉત્તર દિશામાંથી ફૂંકાતી ઠંડી હવાના કારણે આગામી કેટલાક દિવસો સુધી ઠંડી યથાવત રહેવાની શક્યતા છે. ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે, જેના કારણે વાહનચાલકોને સાવચેતી રાખવા જણાવાયું છે. ઠંડી વધતા ચા, કોફી અને ગરમ નાસ્તાની માંગમાં પણ વધારો થયો છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અનુરોધઠંડીના વધતા પ્રમાણને ધ્યાનમાં રાખીને તબીબોએ વૃદ્ધો અને બાળકોને ખાસ કાળજી લેવાની સલાહ આપી છે. સવારના સમયે બહાર નીકળતા પહેલા પૂરતા ગરમ કપડાં પહેરવા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 8:51 am

વલસાડમાં નકલી સોનાના સિક્કાથી છેતરપિંડી કરતી ગેંગના 2 ઝડપાયા:આંતરરાજ્ય ગેંગના સાગરીતો મોટરસાયકલ-નકલી સિક્કા સાથે પકડાયા

વલસાડ રૂલર પોલીસે નકલી સોનાના સિક્કા અને 'બ્લેક મની'ના નામે છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગના બે સભ્યોને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે વલસાડ-ધરમપુર રોડ પરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમની પાસેથી મોટરસાયકલ, નકલી સિક્કા અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹49,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને ખાનગી બાતમી મળી હતી કે કાળા કલરની પલ્સર મોટરસાયકલ પર બે ઈસમ ધરમપુરથી વલસાડ તરફ આવી રહ્યા છે. તેમની પાસે નકલી સોનાના સિક્કા છે અને તેઓ લોકોને છેતરવાના ઈરાદે ફરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વાંકલ ગામના બોરડી ફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની મોટરસાયકલ આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરી હતી. તેમાંથી કમલાકર સુરેશ ગાંગુર્ડે (રહે. વડપાડા, નાસિક, મહારાષ્ટ્ર) અને જયપ્રકાશ ઉર્ફે પ્રકાશ ઉર્ફે પકીયા પંઢરીનાથ મેહેર (રહે. પાલઘર, મહારાષ્ટ્ર) નામના બે શખ્સો મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ નિર્દોષ લોકોને સસ્તામાં સોનું આપવાની લાલચ આપી નકલી સોનાના સિક્કા પધરાવી દેતા હતા. તેમની પાસેથી ચલણી નોટના માપના કાળા કલરના કાગળો પણ મળી આવ્યા છે. તેઓ આ કાગળના બંડલની ઉપર અને નીચે અસલી નોટો મૂકી 'બ્લેક મની'ને અસલી નોટમાં બદલી આપવાના બહાને લોકોને છેતરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹49,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં MH 15 JY 4031 નંબરની ₹40,000ની કિંમતની મોટરસાયકલ, 152 નંગ નકલી સોનાના સિક્કા, ચલણી નોટના માપના કાળા કલરના કાગળના ટુકડા, ₹4,000ની કિંમતના 3 મોબાઈલ ફોન અને રોકડા ₹5,500નો સમાવેશ થાય છે. વલસાડ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 35(1) અને 105(1) હેઠળ આરોપીઓની અટકાયત કરી છે. આ ટોળકીએ અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 8:48 am

VIDEO : અમેરિકાના લોસ એન્જેલસમાં રેલીમાં ખામેનેઈનો વિરોધ કરતા લોકોને ટ્રક ચાલકે કચડ્યાં

Los Angeles Video : ઈરાનમાં ચાલી રહેલા સરકાર વિરોધી પ્રદર્શનોની આગ હવે અમેરિકા સુધી પહોંચી છે, જ્યાં લોસ એન્જલસમાં ઈરાનના પદભ્રષ્ટ રાજકુમાર રઝા પહલવીના સમર્થનમાં યોજાયેલી એક રેલીમાં હિંસક ઘટના બની હતી. ઈરાનની રાજાશાહી વિરોધી સંગઠન MEKનું સ્ટીકર લગાવેલી એક ટ્રક પ્રદર્શનકારીઓની ભીડમાં ઘૂસી ગઈ હતી અને લોકોને કચડતી આગળ વધી ગઇ હતી. આ હુમલામાં ઘણા પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા. આ ટ્રક પર 'No Shah' એટલે કે 'શાહ નહીં ચાહિયે' એવું લખેલું હતું.

ગુજરાત સમાચાર 12 Jan 2026 8:02 am

ઉત્તર ભારત થીજ્યું : કાશ્મીરના શોપિયામાં -8.9 ડિગ્રી, જ્યારે રાજસ્થાનના પ્રતાપગઢમાં -2 ડિગ્રી

North India Weather News : ઉત્તર ભારત રવિવારે હાડ થીજાવતી ઠંડીમાં થીજી ગયું હતું ત્યારે રાજસ્થાનમાં તાપમાન શૂન્યથી પણ નીચે જતું રહેતા સામાન્ય જનતાએ ઘરોમાં કેદ રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. કાશ્મિરમાં શોપિયાં માઈનસ 8.6 ડિગ્રી સે. તાપમાન સાથે સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું. બીજીબાજુ દિલ્હીમાં પણ કેટલાક સ્થળો પર આ સિઝનમાં પહેલી વખત તાપમાન ત્રણ ડિગ્રીથી નીચે જતું રહ્યું હતું. ઉત્તર ભારતમાં હજુ કેટલાક દિવસ સુધી હાડગાળતી ઠંડી સાથે શીત લહેર યથાવત્ રહેવાની શક્યતા છે તેમ હવામાન વિભાગે કહ્યું હતું.

ગુજરાત સમાચાર 12 Jan 2026 7:50 am

ટ્રમ્પના ઇશારે ઇરાન ભડકે બળ્યું, 200થી વધુ શહેરોમાં દેખાવ, 550થી વધુના મોત, મસ્જિદોને આગચંપી

- મૃતકોમાં 100થી વધુ પોલીસકર્મી : 10 હજારથી વધુ લોકોની અટકાયત - આંદોલનકારીઓને આંખોમાં ગોળીઓ મરાઈ, અનેક ઘાયલ થતા હોસ્પિટલોમાં લોહીની અછત - ઇરાની લોકોએ લંડનમાં ઇરાનના હાઇ કમિશન પરથી ઇસ્લામિક ઝંડો ફાડીને ફેંકી દીધો - અમેરિકા એક પણ ગોળી છોડશે તો તેના સૈન્ય મથકો અને ઇઝરાયેલનો નાશ કરીશું : ઇરાનની ધમકી Iran Protest News : ઇરાનમાં કટ્ટરવાદી ઇસ્લામિક શાસન, ભ્રષ્ટાચાર, બેરોજગારી અને નબળી આર્થિક સ્થિતિ સહિતના મુદ્દે જનતા બે સપ્તાહથી આંદોલન કરી રહી છે. આ આંદોલનને કચડી નાખવાના ખામેનેઇ પ્રશાસનના પ્રયાસો નિષ્ફળ જઇ રહ્યા છે.

ગુજરાત સમાચાર 12 Jan 2026 7:46 am

હૃદયની બીમારીથી મોત થયાનું પ્રાથમિક તારણ:અફઘાની યુવકનું શંકાસ્પદ મોત,રૂમમાંથી મૃતદેહ મળ્યો

ફતેગંજમાં રહેતા અફઘાનિસ્તાની યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં તેના રૂમમાંથી મળ્યો હતો. આ યુવક મ.સ.યુનિ.ની આર્કિટેક્ચર ફેકલ્ટીમાં પીએચડી કરી રહ્યો હતો. સયાજીગંજ પોલીસે મૃતદેહનું પીએમ કરાવ્યું હતું. યુવકને હૃદયની તકલીફ હતી અને તેનાથી મૃત્યુ થયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. ફતેગંજ નવયુગ એપાર્ટમેન્ટના બીજા માળે રહેતો અફઘાનિસ્તાનના કારૂન શહેરનો 34 વર્ષીય બયાનઉલ્લા અહમદજાન જીયા પીએચડી કરતો હતો. 4 દિવસથી પરિવાર તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતો હતો, પણ તેનો પ્રતિસાદ મળતો નહોતો. જેથી પરિવારે શનિવારે તેના મિત્રને તપાસ કરવા કહ્યું હતું. જેથી મિત્ર યુવકના ઘરે પહોંચતાં દરવાજો બંધ હતો. બયાનઉલ્લા દેખાતો ન હોવાથી પાડોશી પણ દોડી આવ્યા હતા અને તેમણે યુવકને 2 દિવસથી જોયા ન હોવાનું જણાવ્યું હતું. આખરે મકાન માલિક અને 112ને જાણ કરી દરવાજો તોડતાં રૂમમાં તે મૃત હાલતમાં પડ્યો હતો અને તેની આસપાસ કેટલીક દવા વિખરાયેલી હતી. સયાજીગંજ પોલીસે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, યુવકને હૃદયની તકલીફ હતી અને તેની આસપાસ જે દવા મળી તે હૃદયરોગ અને એસીડીટીની હતી. પોલીસ અને મ.સ.યુનિ.ના સત્તાધીશોએ તમામ કાર્યવાહી રવિવારે પૂર્ણ કરાવી સોમવારે મૃતદેહને અફઘાનિસ્તાન રવાના કરાશે. ગૂંગળામણ થાય તેવા રૂમમાં બયાનઉલ્લા 2 વર્ષથી રહેતો હતોપોલીસ મધરાતે બયાનઉલ્લાના ઘરે પહોંચી હતી. તેને હૃદયની તકલીફ હતી છતાં તે એવા ઘરમાં રહેતો હતો કે, જ્યાં સતત ગૂંગળામણનો અનુભવ થયા કરે. કોઈ પણ વ્યક્તિ 30 મિનિટથી વધારે તે ઘરમાં રહી ન શકે, છતાં તે 2 વર્ષથી તે ઘરમાં રહેતો હતો. તેણે અનુસ્નાતક રાજકોટ ખાતેથી કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:27 am

ભાસ્કર ઈનસાઈડ:ભારત-ન્યૂઝીલેન્ડ મેચની ટિકિટ ~10 હજારમાં વેચતા 2 પકડાયા

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વન-ડે મેચની રૂા.2 હજારની કિંમતની એક ટિકિટનું કાળાબજારમાં 10 હજારમાં વેચાણ કરનારા બે આરોપીને ક્રાઈમ બ્રાન્ચે 17 ટિકિટ સાથે ઝડપી લીધા છે. કોટંબીમાં રવિવારે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે મેચ રમાઈ હતી. મેચ પૂર્વે ટિકિટ માટેનું પોર્ટલ ખૂલ્યું હતું, તે સમયે 4 સેકન્ડમાં જ ટિકિટ વેચાઈ ગઈ હતી. જે બાદ તેનાં કાળા બજારની સંભાવના ઊઠી હતી. વન-ડે ટિકિટના કાળા બજાર રોકવા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી કે, બે શખ્સો ઊંચા ભાવે ટિકિટ વેચી રહ્યા છે. જેથી ક્રાઈમ બ્રાંચે બંનેને ભાંડવાળા નાકા ખાતેથી ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી લેવલ-1, 2 અને 3ની કુલ રૂા.31 હજારની 17 ટિકિટ કબજે કરાઈ હતી. આરોપીઓ રૂા.2 હજાર અને રૂા.1 હજારની ટિકિટ 5 ગણા ભાવે વેચતા હોવાનું જોવા મળ્યું હતું. 1 ટિકિટ પર 1 હજાર કમિશન લેતા, મુખ્ય સૂત્રધાર ફરારક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી કે, 2 શખ્સ ટિકિટનાં કાળા બજાર કરે છે. જેથી પોલીસે નકલી ગ્રાહક થકી ટિકિટ ખરીદવા ભાંડવાળા નાકા ખાતે મળવાનું નક્કી કર્યું હતું. જ્યાં ટિકિટ વેચવા આવેલા આરોપીઓને ઝડપી લીધા હતા. જોકે આરોપીઓ તો કમિશન એજન્ટ હતા. તેઓ 1 હજારની ટિકિટ સામે 1 હજાર કમિશન લેતા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર પકડવાનો હજુ બાકી છે. સુરતના વરાછાના ફેન્સે વધારાની ટિકિટ 4 હજારમાં વેચીરવિવારે સ્ટેડિયમની બહાર વધારાની ટિકિટ આવી છે કે એક જણ આવવાનો નથી અને એક ટિકિટ છે, તેવું કહી ટિકિટ વેચનારા લોકો પણ જોવા મળ્યા હતા. સુરતના વરાછાથી આવેલા 3 પૈકીના એકે જણાવ્યું કે, અમે સુરતમાં 1 હજારની ટિકિટ 4 હજારમાં લીધી હતી. 1 વધારાની ટિકિટ હોવાથી અહીં એ ભાવેભાવમાં 4 હજારમાં જ વેચી દીધી છે. આરોપીઓનાં નામકેતન શાંતિલાલ પટેલ (નાની કાછિયાવાડ, છાણી) આરોપી પાસેથી લેવલ-1ની રૂા.2 હજારની 8 ટિકિટ અને લેવલ-2ની રૂા.2 હજારની 4 ટિકિટ મળી કુલ 12 ટિકિટ મળી આવી હતી. હિતેશ મૂળશંકર જોષી (શ્રીધર સોસાયટી, નિઝામપુરા) આરોપી પાસેથી લેવલ-2ની રૂા.2 હજારની બે અને લેવલ-3ની રૂા.1 હજારની 3 ટિકિટ મળી કુલ 5 ટિકિટ મળી હતી.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:26 am

આપઘાત:ગોત્રીમાં 15 વર્ષિય સગીરાનો બારીની જાળીમાં લેગિંગ્સ બાંધી ફાંસો ખાઈ આપઘાત

ગોત્રીના શિવાલય હાઈટ્સમાં રહેતી 15 વર્ષીય સગીરાએ લેગિંગ્સ દ્વારા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ગોત્રી પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને તપાસ હાથ ધરી હતી. જોકે સગીરાના અંતિમ પગલાનું કારણ અકબંધ રહ્યું હતું. શિવાલય હાઈટ્સમાં રહેતા દિનકર શિંદે અને તેમની પત્ની મકરપુરા જીઆઈડીસીમાં નોકરી કરે છે. તેમના સંતાનમાં 2 પુત્રી અને એક પુત્ર છે. શનિવારે સાંજના 5-30 વાગ્યાના અરસામાં દિનકરભાઈનો 9 વર્ષનો પુત્ર ઘરની બહાર રમી રહ્યો હતો અને તેમની બીજા નંબરની પુત્રી અદીતિ ઘરમાં હતી. દીકરો ઘરે પહોંચ્યો ત્યારે અદીતિએ બારીની જાળી પર લેગિંગ્સ બાંધીને આપઘાત કરી લીધો હતો. દીકરાએ બૂમો પાડતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ દરમિયાન દિનકરભાઈનો ફોન આવતાં દીકરાએ જણાવ્યું હતું કે, દીદી કંઈ બોલતાં નથી અને ફાંસો ખાઈ લીધો છે. ઘટનાની જાણ કરાતાં ગોત્રી પોલીસે મૃતદેહને ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:23 am

અંધશ્રદ્ધાથી પીડિત પિતાને સમજાવવા અભયમની મદદ લેવી પડી:લકવાગ્રસ્ત પુત્રીને સાજી કરવા પિતાનો તુક્કો ઘરના મંદિરમાં સૂવડાવી આસપાસ દીવા કર્યા

કિશનવાડીમાં લકવાગ્રસ્ત દીકરીની તબીબી સારવાર રોકાવીને અંધશ્રદ્ધાથી પ્રેરાઈને તેના પિતા ઘરે લઈ આવ્યા હતા. ત્યારબાદ તેને સ્વસ્થ કરવા માટે કીમિયા શરૂ કર્યા હતા. પિતાએ યુવતીને ઘરના મંદિરમાં સૂવડાવી દઈને આસપાસ દીવડા પ્રગટાવ્યા હતા. જોકે યુવતીની માતાએ તેનો વિરોધ કરીને અભયમની મદદ માગી હતી. જેથી અભયમની ટીમ યુવતીના પિતા પાસે પહોંચી હતી અને તેઓનું કાઉન્સેલિંગ કરીને અંધશ્રદ્ધા દૂર કરીને યોગ્ય સારવાર કરાવવા માટે સમજ આપી હતી. તે પછી આખરે પિતાએ ખાતરી આપી હતી કે, દીકરીની યોગ્ય સારવાર કરાવશે. કિશનવાડી વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતીનો છૂટાછેડાનો કેસ હાલમાં ચાલી રહ્યો છે. જેના તણાવમાં 2 મહિનાથી તેને લકવા થઈ ગયો હતો. લકવાની સારવાર લેવા માટે તેની માતા યુવતીને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યાં 10 દિવસની સારવાર બાદ યુવતીને રજા અપાઈ હતી. જોકે તે બાદ યુવતીના પિતા તેની માતાની જાણ બહાર જૂના ઘરે લઈ ગયા હતા. જૂના ઘરમાં યુવતીના પિતાએ અંધશ્રદ્ધાથી પ્રેરાઈને કીમિયા શરૂ કર્યા હતા. તેમણે ઘરમાં બનાવેલા મંદિરમાં યુવતીને સૂવડાવી દીધી હતી અને તેની આસપાસ દીવા કરી દીધા હતા. યુવતીની માતાને આ વિશે જાણ થઈ ત્યારે તેઓએ પતિને સમજાવ્યા હતા. જેથી છેવટે માતાએ અભયમની સહાય લીધી હતી. અભયમની ટીમે યુવતીના પિતાને સમજાવ્યા હતા કે, ભગવાનમાં શ્રદ્ધા રાખવી જોઈએ, આખરે ટીમે તેના પિતાનું કાઉન્સેલિંગ કરીને સમજાવ્યા હતા. જેથી યુવતીના પિતા સમજી ગયા હતા અને હોસ્પિટલમાં સારવાર કરવા સહમત થયા હતા. યુવતીના પિતા તેની માતાને પણ સાથે નહોતા રાખતાલકવાગ્રસ્ત યુવતીની વય 30 વર્ષની હતી, તેની દૈનિક ક્રિયાઓ માટે તેની માતાની તેને જરૂર પડતી હતી. જોકે યુવતીના પિતા તેની માતાને સાથે રાખતા નહોતા. તેઓની વચ્ચે ઘણા સમયથી ખટરાગ ચાલતો હતો. તેના પિતા જ યુવતીના તમામ કામ કરતા હતા. જેથી અભયમની ટીમે પિતાને સમજાવ્યું હતું કે, દીકરી જુવાન છે, તેને તેની માતાની જરૂર પડે. જેથી પિતા તેની માતાની સાથે રાખવા સહમત થયા હતા.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:22 am

નશામાં મહિલાએ કાર અથડાવી:નશામાં મહિલાએ સારાભાઈ કેમ્પસની દીવાલમાં કાર અથાડી,પોલીસે નામ પૂછ્યું તો કહ્યું ખબર નથી

સારાભાઈ કેમ્પસમાં શનિવારે સાંજે પોણા સાત વાગ્યાના અરસામાં નશામાં ધૂત આધેડ મહિલાએ કાર દીવાલમાં અથાડી દીધી હતી. અકસ્માતનો બનાવ બનતાં લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરીને મહિલાને પોલીસને હવાલે કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, મહિલા ગોત્રી ખાતે તેની મિત્રને ત્યાંથી દારૂ પીને આવ્યા હતા. શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. શનિવારે સાંજે એક પૌઢ નશામાં ધૂત મહિલા કાર ચાલકે અકસ્માત કર્યો હતો. શનિવારે સાંજના પોણા સાત વાગ્યાના અરસામાં એક કાર સારાભાઈ કેમ્પસમાં જઈને કેમ્પસની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને પગલે લોકો દોડી આવ્યા હતા. કારમાં એક મહિલા સવાર હતી અને તે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હતી. જેથી લોકોએ ગોરવા પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. મહિલા એ હદે દારૂ પીધેલી હાલતમાં હતી કે, તે પોતાનું સંતુલન પણ જાળવી શકતી નહોતી અને તેણે ધમાલ પણ કરી હતી. પોલીસે તેને મહામહેનતે પીસીઆર વેનમાં બેસાડીને પોલીસ મથક લઈ ગઈ હતી. પોલીસ મથકે પૂછપરછમાં, મહિલાને તેનું નામ, તેના ઘરનું સરનામાનું પણ ભાન નહોતું. જોકે તેણે જણાવ્યું હતું કે, તે ગોત્રીમાં તેની મિત્રના ઘરે ગઈ હતી અને ત્યાં તેણે દારૂ પીધું હતું. જેથી પોલીસે મહિલાના મોબાઈલમાં રહેલા આધારકાર્ડને આધારે તેની ઓળખ મેળવી હતી. તેની ઓળખ પ્રિયા તરીકે થઈ છે અને તેની વય 57 વર્ષ છે. જેથી મહિલાના પતિને જાણ કરીને તેઓને પણ પોલીસ મથક બોલવવામાં આવ્યા હતા. મહિલાની શારીરિક તપાસ કરાવીને નોટિસ આપીને તેઓને ઘરે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. રવિવારે સવારે તેઓને ફરીવાર બોલાવવામાં આવ્યાં હતાં અને તપાસ કરવામાં આવી હતી. પોલીસે પ્રિયાબહેનના ઘરે જઈને તપાસ કરી હતી, જોકે પોલીસે કંઈ મળી આવ્યું નહોતું. તેઓએ ગોત્રી વિસ્તારમાં કઈ જગ્યાએ દારૂ પીધો છે તેની પોલીસ શોધમાં છે. 57 વર્ષીય મહિલા ગોત્રીમાં મિત્રને ત્યાંથી દારૂ પીને આવ્યા હતા, પોલીસે નોટિસ આપી ઘરે જવા દીધા57 વર્ષની આધેડ મહિલા પ્રિયા કાર લઈને ગોત્રી વિસ્તારમાંથી નીકળી હતી અને તેઓને ઘરે જવાનું હતું. જોકે તેઓને કાર ચલાવતી સમયે હોશ નહોતો જેથી ગેંડા સર્કલથી સીધુ જવાને બદલે તેઓ સારાભાઈ કેમ્પસમાં જતા રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, પ્રિયા અને તેમના પતિ વચ્ચે પણ ખટરાગ ચાલી રહ્યો છે અને તેમનાં સંતાનો વિદેશમાં રહે છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:21 am

ભાસ્કર નોલેજ:મકરસંક્રાંતિ પૂર્વે શેરડીના ~70 અને બોરના ભાવ કિલોએ રૂપિયા 100-120 પર પહોંચ્યા

મકરસંક્રાંતિ પર શેરડી, બોર અને લીલા શાકભાજી દાન કરવાનો મહિમા છે. ત્યારે શહેરમાં બોર અને શેરડીના ભાવમાં વધારો નોંધાયો છે. શાકભાજીના વેપારીના જણાવ્યા મુજબ બોર મહેસાણાથી આવે છે. આ વખતે પાક ઓછો છે, જેથી ભાવમાં વધારો નોંધાયો છે. ગત વર્ષે 80 રૂપિયે કિલોના ભાવે વેચાતા બોર આ વખતે 100થી 120 રૂપિયે કિલો વેચાય છે શેરડી પણ ગત વર્ષે એક સાંઠો 50 રૂપિયામાં વેચાતો હતો, જે આ વખતે 70 રૂપિયા સુધી છૂટક બજારમાં વેચાય છે. જોકે આ અંગે આગળથી જ ભાવ વધારો હોવાનું વેપારી જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મકરસંક્રાંતિ પર્વ પર દાનમાં બોર અને શેરડી સાથે શાકભાજી પણ આપવામાં આવે છે. માન્યતા મુજબ જે પરિવારમાં નાના બાળકો સ્પષ્ટ અને બરાબર બોલતા ના હોય તેમના નામે બોર વહેંચવામાં આવે છે, જેથી બાળકો બોલતા થાય છે. શહેરમાં ઠેર-ઠેર શેરડી અને બોરની હાટડીઓ જામી છે. શેરડીમાં માતા લક્ષ્મીજીનો વાસ હોવાથી માન્યતાશેરડીમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. સાથે ભગવાન વિષ્ણુને પણ પ્રિય છે. તેમજ આ સિઝનમાં પોષ્ટીક પદાર્થ દાન કરવામાં આવે છે. શેરડીનો નવો પાક આ સિઝનમાં આવે છે. તેથી તે પહેલા ભગવાનને ધરાવવામાં આવે છે ત્યાર પછી શેરડીને ઉપયોગમાં લેવાય છે. ઉત્તરાયણ પર્વ પહેલાંના છેલ્લા રવિવારે પતંગ બજારો ઉભરાયાવડોદરા | ઉત્તરાયણ પર્વ પહેલા છેલ્લો રવિવાર આવતા શહેરના બજારો પતંગ રસિકોથી ઉભરાયા હતા. આગામી બુધવારે ઉત્તરાયણ પર્વ છે. રવિવારે શહેરના માંડવી અને લહેરીપુરા વિસ્તારમાં આવેલા પતંગ અને દોરાના વેપારીઓને ત્યાં ભારે ભીડ જોવા મળી હતી. જેે પગલે સાંજે એક તબક્કે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.બીજી તરફ ન્યાય મંદિર પદ્માવતી પાસે પાલિકા દ્વારા રવિવારે પણ દબાણ શાખાની ટીમ અને વાહનો સ્ટેન્ડ બાય રાખ્યા હતા. શહેરના માંડવીથી ચોખંડી તરફના રોડ પર તેમજ પશ્ચિમમાં ચકલી સર્કલ તરફ પતંગ ખરીદવા તેમજ શેરડી અને અન્ય વસ્તુઓ ખરીદવા માટે મહિલાઓની ભીડ જોવા મળી હતી. ૉ

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:20 am

મંડે પોઝિટીવ:બાળકોનું વચન: અમે તો શીખ્યાં, હવેથી માતાપિતાને પણ મોબાઈલથી દૂર રાખીશું

પેટ્રિયટ ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા ‘એક યુદ્ધ-રોગ વિરુદ્ધ’ થીમ સાથે રોગમુક્ત ભારત અભિયાન ચાલુ કરાયું છે. જેમાં ધોરણ 8માં અભ્યાસ કરતા 108 વિદ્યાર્થીઓને ધુમ્રપાન, તમાકુ-દારૂ અને અન્ય વ્યસનો ઉપરાંત મોબાઈલ, ટેબ્લેટના વધુ પડતા ઉપયોગથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને થતાં નુકસાનને રોકવા માટે માર્ગદર્શન અપાયું હતું. આ માર્ગદર્શન બાદ બાળકોએ પણ વચન આપ્યું હતું કે, અમે તો સ્ક્રીન એક્ઝપોઝરથી થતાં નુકસાન વિશે સમજ્યાં, હવે અમારાં માતા-પિતાને પણ મોબાઈલથી દૂર રાખવા પ્રયાસ કરીશું. ઉલ્લેખનિય છે કે, આ કાર્યક્રમ વડોદરાની એસ.ડી.પટેલ સ્કૂલમાં કુલ 20 કલાકનાં સત્રોમાં વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યાં હતાં. પેટ્રિયટ ક્લબ ઓફ ઇન્ડિયાના સંસ્થાપક ડો.કમલેશ શાહે જણાવ્યું હતું કે, 1-1 કલાકનાં 20 સત્રોમાં બાળકોને મેડિસીન અને નોન મેડિસીનના ઉપાયોથી રોગમુક્ત કેવી રીતે રહી શકાય તે વિશે સમજ આપી હતી. આ સત્રોમાં માનસિક સ્વાસ્થ્ય, ખાનપાનની આદતો સુધારવી, મોબાઈલ-ટીવીના વ્યસનથી છૂટકારો જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સત્રોમાં પાયોનિયર હોમિયોપેથિક મેડિકલ કોલેજનાં પ્રિન્સિપાલ ડો.અલ્પેશ શાહની પ્રેરણા હેઠળ ડો.આનંદ પટેલ, ડો.પ્રેક્ષા છાજેર અને તેમના હેઠળ તાલીમ પામેલા નિવારક આરોગ્ય યોદ્ધાઓની ટીમ દ્વારા આ વિષયને પોસ્ટર, નાટક, રમતો અને સવાલ-જવાબ વગેરેની મદદથી મલ્ટી મીડિયાનાં માધ્યમ દ્વારા રજૂઆત કરાઈ હતી. જેમાં સ્ક્રીન એક્પોઝરને ઓછું કરવા માટે મોબાઈલનો ઉપયોગ ક્યારે ન કરવો અને ક્યારે કરવો તે અંગે સમજ અપાઈ હતી. મોબાઈલથી થતાં નુકસાન અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:19 am

ભારત-ન્યૂઝીલેન્ડની મેચ:ટ્રાફિકની ગુગલી, ચિક્કાર સ્ટેડિયમ-રોડ ચક્કાજામ

ભારત-ન્યૂઝીલેન્ડની મેચમાં પ્રેક્ષકો ઉત્સાહથી જોડાયા હતા. કોટંબી સ્ટેડિયમ પહેલીવાર હાઉસફુલ થઈ ગયું હતું. 30 હજારની ક્ષમતાવાળું સ્ટેડિયમ પહેલીવાર હાઉસફુલ થયું હતું. જોકે સ્ટેડિયમ સુધી પહોંચવા અને મેચ પૂર્ણ થયા બાદ બહાર નીકળવા પ્રેક્ષકો ટ્રાફિકની ‘ગુગલી’માં ફસાતાં રોડ પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. સ્ટેડિયમ સુધી પહોંચવા 8 કિમીનો ટ્રાફિક જામ થયો હતો. જ્યારે મેચ નિહાળવા માટે પહોંચેલા ચાહકોથી સ્ટેડિયમ ચિક્કાર થઈ ગયું હતું. વડોદરાથી કોટંબી પહોંચવા અને હાલોલ તરફ જવાના રોડ સાથે હાલોલથી જરોદ આવવાના રોડ પર પણ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. ટ્રાફિકમાં ક્રિકેટરોની બસ, વીઆઈપી, સહિત પ્રેક્ષકો ફસાયા હતા. લોકો સ્ટેડિયમથી એકથી બે કિમી દૂર પોતાના વાહન પાર્ક કરીને સ્ટેડિયમ સુધી ચાલીને પહોંચ્યા હતા. મેચ રવિવારે બપોરે દોઢ વાગે શરૂ થઈ હતી. જોકે મેચ શરૂ થયા બાદ પણ મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમમાં પહોંચ્યા નહોતા. સ્ટેડિયમનું સાઉથ સ્ટેન્ડમાં અનેક સીટો ખાલી જણાતી હતી. 3 હજારથી વધુ લોકો મેચ શરૂ થયાના દોઢ કલાક બાદ જગ્યાએ પહોંચ્યા હતા. કોહલીએ 91 બોલમાં 93 રન ફટકાર્યા હતા. જોકે કોહલી આઉટ થઈ ગયા બાદ પ્રેક્ષકો નિરાશ થયા હતા અને સ્ટેડિયમ છોડી જવા લાગ્યા હતા. 3 હજારથી વધુ લોકોએ સ્ટેડિયમ છોડી દીધું હતું. અંતે કે.એલ.રાહુલ મેચને જીત તરફ લઈ ગયો હતો. ભારત મેચ જીતી જતાં પ્રેક્ષકોના ઈન્ડિયા-ઈન્ડિયા… ની બૂમોથી આખું સ્ટેડિયમ ગુંજી ઊઠ્યું હતું. પ્રેક્ષકોએ ભારતની જીત ઉત્સાહથી ઉજવણી કરી હતી. રસાકસીની મેચમાં એક ક્ષણે મેચ ડ્રો થશે તેવી પણ સંભાવના સર્જાઈ હતી. બધી ટિકિટ વેચાઇ હોવા છતાં એક તબક્કે અનેક ખુરશી ખાલી રહેતાં ઘાલમેલની ચર્ચાહાલોલ રોડ પર કોટંબીમાં પહેલીવાર ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ યોજાઈ હતી. જેમાં દર્શકો ઊમટી પડતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. ભારતીય ટીમને લઈ જતી બસ ભણિયારા અને કોટંબી વચ્ચે ટ્રાફિકમાં અટવાઈ હતી.જેથી પોલીસે દોડી જઈ બસ સ્ટેડિયમ સુધી પહોંચાડી હતી. જ્યારે કોમેન્ટેટર હર્ષ ભોગલેએ ટ્રાફિક જામમાં ફસાયા હોવાનું ટ્વિટ કર્યું હતું. મેચ ચાલુ થયા બાદ 3 હજાર જેટલા લોકો પહોંચ્યા હતા. દૂર પાર્કિંગ અને સિક્યુરિટી ચેકથી દર્શકો કંટાળ્યા હતા. મેચ ચાલુ થવા છતાં સ્ટેડિયમમાં અનેક ખુરશી ખાલી રહી હતી. જેને પગલે એક તબક્કે ચર્ચા ચાલી હતી કે, તમામ ટિકિટો વેચાઈ ગઈ છે ત્યારે તેમાં કંઈ ઘાલમેલ તો નથી થઈને? હર્ષા ભોગલેનું નારાજગી વ્યક્ત કરતું ટ્વિટ જાણીતા કોમેન્ટેટર હર્ષ ભોગલે એ ટ્વીટ કર્યું હતું.જેમાં 8 થી 10 કિમી નો મેસિવ ટ્રાફિક જામ સ્ટેડિયમ જવાના માર્ગે થયો હોવાનું જણાવ્યું હતું.પોતે 1 કલાકથી રોડ ઉપર ફસાયો હોવાનું જણાવ્યું હતું.અને બધી ટિકિટો વેચાઈ ગઈ છે.હવે આપડે ઓડીઆઈ ક્રિકેટ મેચ માટે શું કહેવું. તંત્રે વાહનોનો અંદાજ લગાવવામાં થાપ ખાધીપોલીસ વિભાગ અને વહીવટી તંત્રે મેચના દિવસે 30 હજાર દર્શકો આવવાનો અંદાજ લગાવી વ્યવસ્થા અને બંદોબસ્ત ગોઠવ્યો હતો. જોકે મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જતા ભારદારી અને ખાનગી વાહનોનો અંદાજ લગાવવામાં થાપ ખાધી હતી. શુભમન ગીલના પિતા હોવાના બહાને બેરિકેડ્સ હટાવી બસ સ્ટેડિયમ પહોંચીમેચ ચાલુ થવાની કેટલીક મિનિટ અગાઉ 1.25 વાગે ટ્રાવેલર બસ સ્ટેડિયમના ઇસ્ટ બ્લોકના કનેક્ટિંગ રોડ પાસે વડોદરા તરફથી રોંગ સાઇડમાં આવી હતી. આ સાઇડથી એન્ટ્રી બંધ હતી. આ બસમાંથી એક વ્યક્તિએ ઊતરીને પોલીસને બસ બીસીસીઆઇની છે અને તેમાં શુભમન ગીલના પિતા છે, એમ કહેતાં પોલીસે કોઇ ખાતરી કર્યા વિના બેરિકેડ ખોલી નાખ્યાં અને રોંગ સાઇડ પર બસ જવા દીધી હતી. એરપોર્ટ સર્કલથી છેક કોટંબી સુધી રસ્તાઓ પર જર્સીઓ ખરીદવા પડાપડી, આખું સ્ટેડિયમ ટીમ ઇન્ડિયાની ભૂરી જર્સીના રંગે રંગાયુંવડોદરા. ક્રિકેટ મેચના પગલે ક્રિકેટની જર્સી, ચશ્મા, ટોપી સહિતના સામાનનું વેચાણ કરતાં પથારાઓ જોવા મળ્યા હતા. જેમાં રોહિત અને વિરાટ લખેલી જર્સીઓનું ધૂમ વેચાણ થયું હતું. ટોલ નાકા બાદ હાઇવે પર પથારાઓ વાળાને જોઇને હાઇવે પર જ કાર ઊભી રાખીને ફેન્સે ખરીદી ચાલુ કરી હતી. જેના પગલે કોઇ અકસ્માત થાય તે ટાળવા માટે પોલીસે પથારાવાળાઓને મુખ્ય રસ્તાથી અંદરની તરફ ખસેડ્યા હતા. પથારાવાળાઓએ બીસીએએ દર કિમીએ રસ્તાની સાઇડ પર કોટંબી સ્ટેડિયમનું સ્થાન અને કિમી દર્શાવતા દિશાસૂચક બેનર ભારતીય પ્લેયર્સ સાથેના મૂકેલા હતા. જ્યારે આખું સ્ટેડિયમ ટીમ ઇન્ડિયાની ભૂરી જર્સીના રંગે રંગાયું હતું. જય શાહ અને પ્રણવ અમીને વિરાટ કોહલી-રોહિતની 26 ફૂટ ઊંચા બેટમાંથી એન્ટ્રી કરાવીસચિન તેંડુલકરનો ફેન સુધીર કુમાર બપોરે 1 વાગ્યાના સુમારે તેના પરંપરાગત મેકઅપ, દંડા સાથેના તિરંગા સાથે ઇસ્ટ સ્ટેન્ડ પર એન્ટ્રી લીધી હતી. તેની એન્ટ્રી થતાં જ ચાહકોએ ફોટો લેવા પડાપડી કરી હતી. ત્યારબાદ તે ઇસ્ટ સ્ટેન્ડ પરની મેઇન એન્ટ્રી પર આવતાં જ તેને અટકાવવામાં આવ્યો અને ઝંડાનો દંડો કાઢવાનું કહ્યું ત્યારે સુધીર કુમારે કહ્યું કે, હું ઇન્ટરનેશનલ મેચો જોવા દુનિયાભરમાં જાઉ છું. જોકે આટલું જ કહેતા સમજી ગયેલા પોલીસકર્મીઓએ તેમને અંદર જવા દીધા હતા. સચિન તેંડુલરનાના ફેન સુધીર કુમારને દંડા સાથેનો તિરંગો લઈને એન્ટ્રી કરતાં અટકાવ્યોસચિન તેંડુલકરનો ફેન સુધીર કુમાર બપોરે 1 વાગ્યાના સુમારે તેના પરંપરાગત મેકઅપ, દંડા સાથેના તિરંગા સાથે ઇસ્ટ સ્ટેન્ડ પર એન્ટ્રી લીધી હતી. તેની એન્ટ્રી થતાં જ ચાહકોએ ફોટો લેવા પડાપડી કરી હતી. ત્યારબાદ તે ઇસ્ટ સ્ટેન્ડ પરની મેઇન એન્ટ્રી પર આવતાં જ તેને અટકાવવામાં આવ્યો અને ઝંડાનો દંડો કાઢવાનું કહ્યું ત્યારે સુધીર કુમારે કહ્યું કે, હું ઇન્ટરનેશનલ મેચો જોવા દુનિયાભરમાં જાઉ છું. જોકે આટલું જ કહેતા સમજી ગયેલા પોલીસકર્મીઓએ તેમને અંદર જવા દીધા હતા. પોલીસે પાણીની બોટલો સાથે લોકોને પ્રવેશ ન આપતાં સ્ટેડિયમ બહાર વિવિધ ચીજોનો ઢગલોક્રિકેટ ફેન્સ પાણીની બોટલો સાથે લઇને સ્ટેડિયમ તરફ જતાં પોલીસે એક તબક્કે મેઇન રોડની એન્ટ્રી પર જ અટકાવ્યા હતા. જેના લીધે એક સ્થળે પાણીની બોટલોનો ઢગલો થઇ ગયો હતો. આ ઉપરાંત પણ દંડા, થેલીઓ, સ્ટ્રો, પ્લાસ્ટિકની પિપૂડીઓ અને અન્ય ચીજોનો સમાવેશ થતો હતો. જોકે પોલીસ સાથે લોકોની દલીલબાજી પણ થઇ હતી. સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો પહોંચતાં પિક પોકેટર્સને તડાકો, અનેકના મોબાઇલ ચોરાયાપ્રેક્ષકો સ્ટેડિયમ સુધી પહોંચતા ટ્રાફિકમાં ફસાયા હતા. બીજી બાજુ સ્ટેડિયમમાં પણ તે ઘણું ચાલીને પહોંચ્યા હતા. જોકે સ્ટેડિયમમાં પિક-પોકેટર્સ એક્ટિવ થયા હોવાનું જણાયું હતું. ઘણા લોકોના ફોન ચોરી થયા હોવાનું જાણવા મળ્યું હતું. મોટી સંખ્યામાં પ્રેક્ષકો ફોન ચોરીની ફરિયાદ નોંધાવે તેની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:16 am

હવે સીમાના ગૌરવના સાક્ષી બની શકાશે:લક્કી નાળા પાસે ક્રીકમાં સમુદ્રી સીમા દર્શન શરૂ કરાયું

લખપત તાલુકાના નારાયણ સરોવર નજીક આવેલા લક્કી નાળા ખાતે ગુજરાત ટૂરિઝમ દ્વારા ગત વર્ષથી “સમુદ્રી સીમા દર્શન” શરૂ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓ ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સમુદ્રી સરહદ વિશે પણ તેઓ જાણકાર થાય તેમજ અહીંની સરહદ પર તહેનાત દેશના બીએસએફના જવાનોની કામગીરીથી અવગત થાય તેવા હેતુસર ભારતમાં પ્રથમ વખત “સમુદ્રી સીમાદર્શન”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. લક્કી નાલા વિસ્તાર જે આજદિન સુધી પ્રતિબંધિત હતો, પણ ગત વર્ષથી હવે તે પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ સમુદ્રી સીમાદર્શન પ્રોજેક્ટમાં ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરને જોડતા દરિયાઈ વિસ્તારમાં બોટ રાઈડ શરૂ કરવામાં આવી છે. જેનો રોમાંચ અલગ છે. બુકિંગ કેવી રીતે કરાવશો?હાલમાં શરૂઆતના તબક્કામાં 6 સીટરની એક બોટ સ્થળ પર પ્રવાસીઓ માટે કાર્યરત કરવામાં આવી છે. પ્રવાસીઓ ગુજરાત ટુરિઝમની નારાયણ સરોવર, કચ્છ ખાતે આવેલ હોટલ તોરણ ખાતેથી સંપર્ક નંબર 9824512730 તથા લક્કી નાલા ખાતે પણ રૂબરૂ મુલાકાત લઈને બોટ રાઈડનું બુકિંગ મેળવી શકે છે. બોટમાં મહત્તમ 6 લોકો જઈ શકે છે. ટિકિટ વ્યક્તિદીઠ માત્ર 200 રૂપિયા છે. જેમાં એક કલાકની બોટ રાઇડ કરાવવામાં આવે છે. ક્રિકમાં પ્રવાસનનો વિકાસઆગામી સમયમાં ક્રિક વિસ્તારમાં ફ્લોટિંગ જેટી, વોચ ટાવર, મરીન ઇન્ટરપ્રીટેશન સેન્ટર, મેન્ગ્રુંવ વોક, ફૂડ કિઓસ્ક, ભૂંગા રિસોર્ટ ,એડવેન્ચર પાર્ક શરૂ કરાશે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:09 am

માટલાં ફોડી રહીશોનો વિરોધ:કારેલીબાગમાં ભરશિયાળે પાણી માટે વલખાં

કારેલીબાગમાં 6 મહિનાથી પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ માટલાં ફોડી વિરોધ કર્યો હતો. 20થી વધારે સોસાયટીમાં પાણીના લો-પ્રેશરથી લોકો પરેશાન છે ત્યારે આમ્રપાલી-દિપાલી સોસાયટીના રહીશોએ માટલાં ફોડ્યાં હતાં. કારેલીબાગ પાણીની ટાંકીની આજુબાજુની 20થી વધુ સોસાયટીઓમાં પણ પૂરતા પ્રેશરથી પાણી મળી રહ્યું નથી. લો-પ્રેશરને પગલે લોકો પીવાના પાણીનાં ટેન્કરો પાછળ રૂા.500 ખર્ચ કરી રહ્યા છે. સ્થાનિક કાઉન્સિલરોને અનેક રજૂઆતો કરવા છતાં ઉકેલ લવાતો નથી. જ્યારે અધિકારીઓ પણ ગોળ-ગોળ જવાબો આપે છે, જેથી રહીશો પરેશાન છે. આમ્રપાલી-દિપાલી સોસાયટીના રહીશોએ કહ્યું કે, અમે અનેક રજૂઆતો કરી છતાં 10 મિનિટથી વધારે પાણી આવી રહ્યું નથી. હાઇરાઇઝ બિલ્ડિંગ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પાણી ડાઇવર્ટ કરાઈ રહ્યું છેકારેલીબાગમાં નવા બનેલી હાઇરાઇઝ બિલ્ડિંગ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પણ કારેલીબાગ ટાંકીથી આડેધડ કનેક્શન અપાઈ રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે રહેણાક વિસ્તારમાં પાણી ઓછું મળે છે. બિલ્ડરોના ઇશારે અને કાઉન્સિલરોની ભલામણથી અધિકારીઓ સોસાયટી વિસ્તારનો વિચાર કર્યા વિના જોડાણ આપી રહ્યાં છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:06 am

સિદ્ધિ:અન્ડર 16ની રાજયકક્ષાની સ્પર્ધામાં ભાઈઓને વોલીબોલમાં બ્રોન્ઝ મેડલ

તાજેતરમાં હિંમતનગર ખાતે ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ફોર ધ ડેફ દ્વારા રાજ્ય કક્ષાની 14મો ઓલ ગુજરાત વોલીબોલ ચેમ્પિયનશીપનું ઉંમર પ્રમાણે અલગ અલગ ગૃપનું આયોજન થયું હતું. એમાં ભાવનગર સ્થિત શાહ કે એલ ઇન્સ્ટિટયૂટ ફોર ધ ડેફ સ્કુલના અંડર 16 વર્ષ ભાઈઓની ટીમે તૃતિય સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. આ સિદ્ધિ બદલ ટીમ ખેલાડી શિરોયા ઝલક (કેપ્તન) વાઘેલા સોહમ,જાફરના દિવ્યરાજ,હડિયા દિપક,ભુવા જયેશ,જગરણા યશ અને તેમના રમત શિક્ષક અને કોચ હિતેશભાઈ વ્યાસ,સંદીપભાઈ ગોસ્વામી સાથે જનાર શિક્ષિકા જ્યોતિબેનને સફળતા બદલ ગીરીશભાઈ શાહ, અશ્વિનભાઈ પંડ્યા સમગ્ર શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવેલ છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:04 am

મંડે પોઝિટીવ:મેક ઇન વડોદરા, વિમાનોના ટર્બાઇનની પાંખ ફરતેની હનીકોમ્બ રિંગનું દેશમાં એક માત્ર વડોદરામાં ઉત્પાદન

વિમાનોના એન્જિનના ટર્બાઇનનાં પાંખિયાઓની ફરતે નિકલ કે ટાઇટેનિયમની સુપર એલોયમાંથી બનેલી હનીકોમ્બ રિંગનું ઉત્પાદન વડોદરામાં શરૂ થયું છે.વિમાની એન્જિન બનાવતા જનરલ ઇલેક્ટ્રિક (જીઈ)ના એક ઓર્ડર બાદ ભારત સરકારની વિમાની કંપની હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડે (HAL) હનીકોમ્બ માટે વાતચીત શરૂ કરી છે. અત્યાર સુધી હનીકોમ્બ અમેરિકાની 2 કંપની અને યુકેની 1 કંપની બનાવતી હતી. હવે USA-UKનો એકાધિકાર પૂરો થયો છે. વડોદરાની મકરપુરા જીઆઇડીસીની કંપની હવે ભારતની પ્રથમ ઉત્પાદક કંપની બની છે. વડોદરામાં નિર્મિત હનીકોમ્બની રિંગ બનાવીને ભારેખમ મેટલ પર વિશેષ પ્રકારની બ્રિઝિંગ (વેલ્ડિંગ નહીં) ટેક્નિકથી સજ્જડ ચોંટાડવામાં આવે છે. વિમાનના એન્જિન જ્યારે ટોપ સ્પીડે ધમધમે છે ત્યારે પાંખિયાઓની લંબાઇમાં સહેજ વધારો થાય છે. પાંખિયા અને વિમાનના મુખ્ય માળખા વચ્ચે હનીકોમ્બ રિંગ એક સંરક્ષણ દીવાલ તરીકે ઉપયોગી થાય છે. આ હનીકોમ્બ રિંગો હળવા વજન અને લોખંડથી 20 ગણી મજબૂતીથી મોટી વિમાની કંપનીની પહેલી પસંદગી બની છે. એક વિમાનના 2 સેક્શનમાં 4 રિંગની જરૂરવિમાનના એન્જિનના 3 પૈકી 2 સેક્શનમાં હનીકોમ્બ રિંગની જરૂર પડે છે. એક રિંગ 1 મીટર લાંબી અને 20 સેમી પહોળી હોય છે. જોકે વિમાનોના એન્જિનની સાઇઝ મુજબ તેનાં માપ અલગ હોય છે. એક હનીકોમ્બના ટચૂકડા સેલ (ખાના)માં વિભાજિત હોય છે. સેલની એક બાજુનું માપ 0.75 એમએમ જેટલું હોય છે. વિમાની કંપની TASLએ બરોડિયન હનીકોમ્બની ગુણવત્તાનું ઓડિટ શરૂ કર્યુંતાજેતરમાં કંપનીએ બેંગ્લોરમાં વિમાની પૂર્જાના પ્રદર્શનમાં ભાગ લીધો હતો. કંપનીના માલિક મહેશ પટેલ કહે છે કે, વડોદરામાં ટાટાની જે એરોપ્લેન ફેસિલિટી છે, તેમાં પણ હનીકોમ્બની જરૂર છે. ટાટાએ રસ દાખવ્યો છે. તેમની ટીમે કંપનીમાં આવી સુવિધાનું ઓડિટ શરૂ કર્યું છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:04 am

ભારતની ગૌરવપૂર્ણ અંતરિક્ષ સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડાઈ:સ્પેસ ઑન વ્હીલ્સ અંતર્ગત અનોખા મોબાઇલ મ્યુઝિયમે જગાવ્યું આકર્ષણ

વિજ્ઞાન ગુર્જરી (વિજ્ઞાન ભારતીનું ગુજરાત યુનિટ) અને ISRO સાથે મળીને શરૂ કરેલ “સ્પેસ ઑન વ્હીલ્સ” – અંતરિક્ષ વિજ્ઞાન જન-જન સુધી પહોંચાડતું અનોખા મોબાઇલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન થયું હતુ. “સ્પેસ ઑન વ્હીલ્સ” નામની નવીન પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં એક વિશેષ રીતે સજ્જ બસને ફરતું વિજ્ઞાન મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જે ભારતની ગૌરવપૂર્ણ અંતરિક્ષ સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડે છે. “સ્પેસ ઑન વ્હીલ્સ” મોબાઇલ પ્રદર્શન, ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગરની ટોય ઈનોવેશનની એક્ઝિબીશન બસ અને ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી (GEDA)ની એક્ઝિબીશન બસનું આજે રવિવારે જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી ખાતે ઉદ્ઘાટન થયું. આ ઉદ્ઘાટન પ્રસંગમાં મુખ્ય મહેમાન કુલપતિ ડો. ભરતભાઈ રામાનુજ, જ્ઞાનમંજરી સંસ્થાઓના શિલ્પી મનસુખભાઈ નાકરાણી, જ્ઞાનમંજરી યુનિવર્સિટીના સીઈઓ એચ એમ નિમ્બાર્ક દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે કુલપતિએ વિજ્ઞાન ગુર્જરી અને ઈસરો દ્વારા શરૂ થયેલ પહેલથી ગુજરાત અંતરિયાળ ગામો અને વિવિધ શહેરોના વિદ્યાર્થીઓમાં ભારતીય વિજ્ઞાન વિષે રુચિ જાગશે એવું જણાવ્યું હતુ. આ ઉપરાંત વિજ્ઞાન ગુર્જરી દ્વારા વિદ્યાથીઓના હિત માટે થતા કાર્યોને બિરદાવેલ. તેથી આ મોબાઇલ પ્રદર્શન બસો ઉપર પ્રમાણેની તારીખો અને શાળાઓમાં ભાવનગરના વધારેમાં વધારે વિદ્યાર્થીઓ લાભ મેળવે એવી જાહેર જનતાને અપીલ છે. આ પ્રસાંગે મનસુખભાઇ નાકરાણીએ વિજ્ઞાનગુર્જરી (વિજ્ઞાનભારતી) દ્વારા ઇસરોના સહયોગથી અયોજિત સ્પેસ ઓન વ્હીલ્સ પ્રદર્શનીની પ્રસંશા કરી આવતી કાલના ભવિષ્યના નાગરિકોને ઉર્જા સંરક્ષણ બાબતે જાગૃત કરવા માટે જેડા દ્વારા જે પ્રયત્ન કરવામાં આવેલ છે તે હાલના સમયની એક જરૂરિયાત છે. એચ એમ નિમ્બાર્ક જણાવેલ કે આગામી દિવસોમાં તારીખ 12 અને 13 તારીખે 10 થી 5 ક્લાક સુધી વિજ્ઞાનગુર્જરી દ્વારા આ બસોનું પ્રદર્શન જ્ઞાનગુરુ વિદ્યાપીઠ તથા કેપીએસ હાઇસ્કુલ ખાતે પણ યોજાઇ રહેલ છે તો ભાવનગરના વિદ્યાર્થીઓ તથા વાલીઓએ આ પ્રદર્શનની અવશ્ય અચૂકપણે મુલાકાત લેવી જોઈએ. મોબાઈલ પ્રદર્શન બસ જોવાનું નિશુલ્ક રહેશે. આ બાબતે કોઈ પણ માહિતી માટે ડો. આસ્તિક ધાંધીયાનો મો.નં. 9824300647 તથા જિલ્લા સંયોજક પ્રો. મુંજાલ ભટ્ટનો મો.નં. 07048108208 પર સંપર્ક કરવો.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:03 am

ઝળહળતી સિદ્ધિ:ટીમાણા ગામની શાળા બાળકોની રમત ગમત ક્ષેત્રે રાજ્યમાં સિદ્ધિ

ગણેશ શાળા - ટીમાણાના બાળકોએ રમત ગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ અનેરી સિદ્ધિ મેળવી છે અને શાળાના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાએ મેળવ્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. ખેલ મહાકુંભ 2026 અંતર્ગત પાટણ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની અંડર 14 કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગણેશ શાળા - ટીમાણામાં અભ્યાસ કરતા બારૈયા હેત મેહુલભાઈ (ગામ રોયલ)એ 57 કિગ્રા વજન જૂથમાં સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે પંડ્યા બદ્રી ચિરાગભાઈ (ટીમાણા)એ 44 કિગ્રા વજન જૂથમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. રાજ્ય કક્ષાએ રમત ગમત ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન થકી ગણેશ શાળા - ટીમાણાના આ બંને બાળકોએ ભાવનગર જિલ્લાનું રાજ્ય કક્ષાએ ગૌરવ વધાર્યું હતું. રાજ્ય કક્ષાએ ભાવનગર જિલ્લાને રમત ગમત ક્ષેત્રે ઉત્તમ સિધ્ધિઓ પ્રદાન કરનાર બંને બાળકોને તથા તેમને માર્ગદર્શન પૂરું પાડનાર શિક્ષક પ્રવિણભાઈ પંડ્યા તથા શિક્ષક નિલેશભાઈ બાંભણિયાને શાળા પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:01 am

ગોઝારો અકસ્માત:અકસ્માતમાં વલભીપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું

નારી ચોકડીથી ધોલેરા હાઈવે પર માઢીયા નજીક મોટરસાઇકલ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતાં વલભીપુરના ભાજપ અગ્રણીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ધોલેરા હાઇવે પર મહાવીર સોલ્ટ પાસે બેફામ સ્પીડે આવતા કાળમુખા ટેન્કર ચાલકે મોટરસાઇકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં વલભીપુર ગામના વતની અને વલભીપુર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ વનરાજભાઈ સુરેશભાઈ મેણીયાનુ ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ અકસ્માત નો ભોગ બનેલા વનરાજભાઈ મેણીયા કડીયા કામ સાથે સંકળાયેલા હતા અને તેઓ પોતાના સંતાનો ને સારા શિક્ષણ સાથે ઉચ્ચ કારકિર્દી બને તેવા હેતુથી ભાવનગર ખાતે વસવાટ કરતા અને નિયમિત રીતે ભાવનગર થી વલભીપુર અપડાઉન કરતા હતા અલબત્ત કુદરતની કંઈક અલગ જ ગણતરી હશે કારણ કે તેની દિકરી થોડા સમય પહેલા જ ક્લાસ ટુ ઓફિસર તરીકે મામલતદાર તરીકે પસંદગી થઈ હતી અને હાલ કપડવંજ ખાતે ફરજ બજાવે છે આ અકસ્માત પણ વિચિત્ર રીતે સર્જાયો હોવાનું જણાય છે કારણકે ટેન્કર અને મોટરસાઇકલ એક જ દિશામાં જતા હતા અને મોટરસાઇકલ ટેન્કરની નીચે ઘણી જ ઉંડાઈ સુધી ઘુસી ગયુ હતુ

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:01 am