SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
... ...View News by News Source

વિજલપોરમાં જૂની અદાવતે યુવક પર હુમલો:સિદ્ધુ થોરાટ અને સાગરીતોએ લોખંડના સળિયાથી માર માર્યો; પોલીસ તપાસ શરૂ

વિજલપોરની જય ભવાની સોસાયટીમાં જૂની અદાવતને કારણે એક યુવક પર હુમલો થયો છે. સિદ્ધુ થોરાટ અને તેના ત્રણ સાગરીતોએ લોખંડના સળિયા તથા ઢીક્કા-મુક્કી વડે હુમલો કર્યો હતો. આ મામલે વિજલપોર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, વિજલપોરની જય ભવાની સોસાયટી, ગલી નંબર 2 માં રહેતા 28 વર્ષીય વિકાસ રાજમાન ગુપ્તા ગત 14 જાન્યુઆરીના રોજ બપોરના સમયે પોતાના ઘર પાસે હતા. તે સમયે આરોપી સિદ્ધુ થોરાટ, પ્રેમ પવાર, વિલાસ અને સાગર ત્યાં આવ્યા હતા. અગાઉ થયેલી બોલાચાલીની અદાવત રાખી આરોપીઓએ વિકાસને અપશબ્દો બોલ્યા હતા. ત્યારબાદ ઉશ્કેરાયેલા શખ્સોએ વિકાસને ઢીક્કા-મુક્કીનો માર મારી માથાના ભાગે લોખંડનો સળિયો ઝીંકી દીધો હતો. હુમલો કર્યા બાદ આરોપીઓ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ કેસમાં મુખ્ય આરોપી તરીકે ઓળખાતો સિદ્ધુ થોરાટ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે. ભૂતકાળમાં મારામારીના એક કેસમાં વિજલપોર પોલીસે વિઠ્ઠલ મંદિરથી તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. વિજલપોર પોલીસે આ મામલે વિકાસ ગુપ્તાની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 115(2), 352, 351, 54 તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ પુનમભાઈ (બ.નં. 970) કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 1:26 pm

ઘાટલોડિયામાં મહાદેવ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ:ઉત્તરાયણે ગરીબોને ધાબળા વિતરણ કરી સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કર્યું

જન સેવા સમિતિ ઘાટલોડિયા મહાદેવ ગ્રુપ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં કચરો એકત્ર કરતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઠંડીથી રક્ષણ આપવા ગરમ ધાબળા અને દૂધનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યક્રમ દરમિયાન સુનીલભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અખિલ ભારતીય ગુર્જર દેવસેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શિશુપાલ ગુર્જર, જિગ્નેશ ખટિક, હાર્દિક શાહ, હિરક પટેલ, સાહિલ પટેલ, વિકાસ જૈન, હિતેન પટેલ તેમજ મહાદેવ ગ્રુપના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમિતિએ 'સેવા પરમો ધર્મ'ના સૂત્રને અપનાવી સંયમ, સહયોગ અને સામૂહિકતાનો સંદેશ આપ્યો હતો. સંસ્થાના યુવાનોએ પતંગ-દોરીના તહેવારને બદલે સેવા પ્રવૃત્તિમાં જોડાઈને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, જન સેવા સમિતિ મહાદેવ ગ્રુપના સભ્યોએ ગરીબ પરિવારોના બાળકો સાથે વાતચીત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. બાળકોના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને, તેમને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મળી રહે તે હેતુસર નિઃશુલ્ક શિક્ષણ વર્ગો શરૂ કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 1:21 pm

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિનું શાહીથી મોં કાળુ કરાયું:ગિરીશ ભીમાણી સામે વિદ્યાર્થિનીની છેડતીના આક્ષેપો, NSUIનો પૂતળા દહન અને સૂત્રોચ્ચાર સાથે આક્રમક વિરોધ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી સામે વિદ્યાર્થિનીની છેડતીના ગંભીર આક્ષેપો સાથે ગુજરાત પ્રદેશ NSUI દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે NSUIના કાર્યકરો દ્વારા ગિરીશ ભીમાણીને જાહેરમાં આંતરીને શાહી ફેંકી મોં કાળું કર્યું હતું. જોકે, આ સમગ્ર મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લા વિધાનસભાના નિયામક તરીકે ફરજ બજાવનારા ગિરીશ ભીમાણી દ્વારા વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાના આક્ષેપો થયા હતા. ત્યાર બાદ નિયામક તરીકેની ફરજમાંથી ભીમાણીને મૂક્ત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 1:16 pm

મકરસંક્રાંતિએ 108 એ 14 લોકોને બચાવ્યાં:પોરબંદરમાં વાહન અકસ્માત, અગાસી પરથી પડવા સહિતના ઇમરજન્સી કેસ સંભાળ્યા

પોરબંદરમાં મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન 108 ઇમરજન્સી સેવાએ કુલ 14 જેટલા વિવિધ ઇમરજન્સી કેસોમાં મદદ પૂરી પાડી હતી. આ કેસોમાં વાહન અકસ્માત, અગાસી પરથી પડવા અને પતંગના દોરાથી ઇજા થવા જેવા બનાવોનો સમાવેશ થાય છે. 108 દ્વારા સંભાળવામાં આવેલા કેસોની વિગત નીચે મુજબ છે: વાહન અકસ્માતના 07 બનાવો, અગાસી પરથી પડવાના 03 બનાવો, પતંગના દોરાથી ઇજાના 02 બનાવો અને મારામારીના 02 બનાવો. આ તમામ બનાવોમાં 108ની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ઘાયલોને પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 108ની ટીમે તહેવાર દરમિયાન સતર્ક રહીને લોકોની મદદ કરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 1:00 pm

પોરબંદરમાં કરુણા અભિયાન: 94 પક્ષી બચાવ્યા:11 પક્ષીના મોત, 20 જાન્યુઆરી સુધી અભિયાન ચાલુ રહેશે

પોરબંદરમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા માટે વન વિભાગ દ્વારા ‘કરુણા અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત 10 થી 15 જાન્યુઆરી 2026 દરમિયાન કુલ 94 પક્ષીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જેમાંથી 11 પક્ષીઓના સારવાર દરમિયાન મોત થયા છે. રાજ્યવ્યાપી કરુણા અભિયાનના ભાગરૂપે, પોરબંદર વન વિભાગે પક્ષી અભયારણ્ય ખાતે એક ખાસ રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કર્યું છે. બરડા અભયારણ્યના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રેસ્ક્યુ કરાયેલા પક્ષીઓમાં ફ્લેમિંગો, સીગલ, કોયલ, કાંકણસાર અને ઢેલ જેવી વિવિધ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. રેસ્ક્યુ કરાયેલા 94 પક્ષીઓમાંથી 11 પક્ષીઓ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. જ્યારે અન્ય ઘાયલ પક્ષીઓ હાલ વેટરનરી ડોકટરોની સીધી દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. સરકારનું આ ‘કરુણા અભિયાન’ 20 જાન્યુઆરી 2026 સુધી સક્રિય રહેશે. વન વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ અભિયાન પૂર્ણ થયા પછી પણ, જો શહેર કે ગ્રામ્ય વિસ્તારમાંથી કોઈ ઘાયલ પક્ષી મળશે, તો તેને પક્ષી અભયારણ્ય ખાતે જરૂરી સારવાર પૂરી પાડવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 12:57 pm

'સ્પીચમાં નામ લખ મારું, નહીં તો મેળો બંધ કરાવી દઈશ':કોળી સમાજના કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ખાવડ ભડક્યાં, સભા સંબોધવાથી દૂર રાખતા વિવાદ, પોલીસે મામલો થાળે પાડ્યો

ગઈકાલે દેવગઢ બારિયા ખાતે ભગવાન શ્રી માધાતાજીના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી દરમિયાન વિવાદ સર્જાયો હતો. પૂર્વ મંત્રી બચુ ખાબડ ભાષણ આપવા ન મળતા ગુસ્સે થયા હતા, જેના કારણે મામલો બિચક્યો હતો અને પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. આ કાર્યક્રમ કોળી સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી માધાતાની ભવ્ય શોભાયાત્રા અને મૂર્તિ સ્થાપન વિધિ માટે આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોળી સમાજ દ્વારા એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્પીચ યાદીમાં પોતાનું નામ ન હોવાથી પૂર્વ મંત્રી ગુસ્સે થયાસભામાં પહોંચેલા પૂર્વ મંત્રી બચુ ખાબડે સ્ટેજ પર પહોંચીને કોની સ્પીચ છે તેવું પૂછતા વિવાદ શરૂ થયો હતો. આ કાર્યક્રમ રાજકીય ન હોવાથી નેતાઓને સભા સંબોધવાથી દૂર રાખવામાં આવ્યા હતા. સ્પીચ આપનારાઓની યાદીમાં પોતાનું નામ ન હોવાથી બચુ ખાબડ ગુસ્સે થયા હતા. તેમણે સભા સંબોધવા નહીં મળે તો મેળો ખોરવી નાખવાની ચીમકી ઉચ્ચારી હતી, જેના કારણે માથાકૂટ થઈ હતી. પોલીસે મામલો થાળે પાડ્યોઆ મામલે સમાજના આગેવાનો અને ધારાસભ્યના સમર્થકો આમને-સામને આવી ગયા હતા. પરિસ્થિતિ વણસતા પોલીસે તાત્કાલિક દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો. આ વિવાદ બાદ ધારાસભ્ય ભગવાન શ્રી માધાતાની મૂર્તિના સ્થાપન વિધિમાંથી દૂર રહ્યા હતા. સમાજના જ આગેવાનો દ્વારા સ્થાનિક કોળી સમાજના ધારાસભ્યની અવગણનાને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. કોણ છે બચુ ખાબડ?દેવગઢ બારીયા બેઠક પરથી 44 હજાર મતોથી જિતેલા બચુભાઈ મગનભાઈ ખાબડ મુળ દાહોદ જિલ્લાના ઘાનપુર તાલુકાના પીપેરો ગામના વતની છે. જેમણે ઓલ્ડ એસ.એસ.સી સુધી અભ્યાસ કર્યો છે. જે ખેતી, સામાજીક સેવા અને શૈક્ષણિક ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. બચુ ખાબની પીપેરો ગામના સરપંચથી લઇને રાજ્યકક્ષાના મંત્રી સુધીની રાજકીય સફર પર નજર કરીએ તો તેઓ 15 વર્ષ સુધી તેમના ગામ પીપેરોના સરપંચ રહ્યા હતા. ત્યારબાદ લીમખેડા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન બન્યા હતા. જે બાદ ઘાનપુર તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ તરીકે કામગીરી કરી હતી. 6 વર્ષ સુધી દાહોદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી પ્રમુખ રહ્યા હતા. પ્રમુખ તરીકેની કામગીરી દરમિયાન દાહોદ જિલ્લાની 6 માંથી 6 વિધાનસભાની બેઠકો જીતાડવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. 4 ટર્મથી દેવગઢ બારીઆ બેઠક પર દબદબોબચુભાઇ ખાબડ 2002, 2012, 2017 અને 2022માં દેવગઢ બારીઆ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. તેમજ આનંદીબેન પટેલ અને રુપાણી સરકારમાં પણ રાજ્ય મંત્રી રહી ચૂક્યા છે. જોકે, 2021માં આખી રૂપાણી સરકાર બદલાઇ ત્યારે તેમને પડતા મુકવામા આવ્યા હતા. ત્યારબાદ 2022માં ફરીથી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમા તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. બચુ ખાબડ પર શું હતા આક્ષેપ?દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં રૂપિયા 71 કરોડની કથિત ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે પોલીસે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી. કેસની તપાસમાં મંત્રી બચુ ખાબડના બંને દીકરા બળવંત ખાબડ અને કિરણ ખાબડની પોલીસે ધરપકડ કરી હતી. એજન્સીઓની મિલિભગતથી કૌભાંડ આચર્યુંદાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના માત્ર ત્રણ ગામોમાં મનરેગા યોજનાનું મોટુ કૌભાંડ સામે આવ્યુ હતું. જેમાં વર્ષ 2021થી 2024 સુધી મનરેગા યોજનામાં એલ-1 તરીકે અધિકૃત ન હોય તેવી એજન્સીઓને છેલ્લા ત્રણ વર્ષમાં અધધ 70 કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યુ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. સરકારી અધિકારી, કરાર આધારિત કર્મચારીઓ અને એજન્સીઓની મિલિભગતથી આ કૌભાંડ આચર્યું હતું. ત્યારે આ મામલે દાહોદના ડીઆરડીએ નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવતાં દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. ખાબડને મંત્રી પદ પરથી હટાવી દેવાયા પોલીસ તપાસ બાદ બળવંત ખાબડને જામીન મળ્યા હતા, જ્યારે કિરણ ખાબડને રિમાન્ડ બાદ મુક્ત કરાયા હતા. બચુ ખાબડના સીધી સંડોવણીના પુરાવા ન મળતાં તેમને તપાસની બહાર રાખવામાં આવ્યા હતા, પરંતુ રાજકીય દબાણના આક્ષેપો સામે આવ્યા હતા. AAP અને કોંગ્રેસે બચુ ખાબડને મંત્રીપદેથી હટાવવાની માગ કરી હતી. અંતે તાજેતરમાં થયેલા મંત્રીમંડળના વિસ્તરણમાં ખાબડને મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 12:50 pm

સૌરાષ્ટ્ર યુનિ.માં બોર્ડની માફક સ્ક્વોડ સાથે પરીક્ષા:શુક્રવારથી રાજકોટ સહિત 5 જિલ્લાના 142 કેન્દ્રો પરથી 56527 વિદ્યાર્થીઓની એક્ઝામ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત બોર્ડ પરીક્ષાની માફક સ્ક્વોડ સાથે પરીક્ષા લેવામાં આવી રહી છે 16મી જાન્યુઆરીથી શરૂ થતી આ પરીક્ષામાં રાજકોટ સહિત પાંચ જિલ્લામાં 142 કેન્દ્ર પરથી 56000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જે દરમિયાન 90 જેટલા ઓબ્ઝર્વર તો પોતાની ફરજ પર જ રહેશે પરંતુ તેમની સાથે 80 અધ્યાપકોની 40 સ્ક્વોડ બનાવવામાં આવી છે. જે અલગ અલગ પરીક્ષા કેન્દ્રો ઉપર સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવશે. જેમાં કોઈ પણ વિદ્યાર્થી ગેરરીતિ કરતા ઝડપાશે તો તેની સામે સ્થળ પર કોપિકેસ દાખલ કરવામાં આવશે. જેનાથી યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન ચોરીનું પ્રમાણ ઘટી જશે. યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે જણાવ્યુ હતુ કે, 16 મી જાન્યુઆરીથી રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાના 142 કેન્દ્રો ઉપરથી 56527 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. જેમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જે પરીક્ષા 2 સેશનમાં લેવામાં આવશે. જેનો સમય સવારે 10 થી 12 અને બપોરે 1.30 થી 3.30 વાગ્યા દરમિયાનનો છે. જેમાં સેમેસ્ટર -1 માં બી.એ. રેગ્યુલરમાં 18440, બી.કોમ.માં 17470, બી.બી.એ.માં 6366, બી.સી.એ.માં 6310, એમ.કોમ.માં 1696 અને બીએસ.સી.માં 1295 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે આ વખતે પ્રથમ વખત ઓબ્ઝર્વરની સાથે સ્ક્વોડ ફરજ પર રહેશે. આ પરીક્ષા દરમિયાન 142 પરીક્ષા કેન્દ્રો ઉપર 90 થી વધુ ઓબ્ઝર્વર સતત તૈનાત રહેશે. જેમની સાથે 80 સભ્યોની 40 સ્ક્વોડની ટીમ બનાવવામાં આવી છે. જે પરીક્ષા કેન્દ્રો ઉપર સરપ્રાઈઝ ચેકીંગ કરવા માટે જશે. આ દરમિયાન કોઈ વિદ્યાર્થી પરીક્ષા ચોરી કરતા પકડાશે તો તેની સામે કોપિકેસ દાખલ કરવામાં આવશે. જે બાદ હવે રૂ.2500 થી લઈ રૂ.10000 નો દંડ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન 10 વર્ષ પહેલા સ્કવોડ સાથે પરીક્ષા લેવામાં આવતી હતી પરંતુ ત્યારે ઓબ્ઝર્વર ન હતા. જોકે હવે આ વખતે પ્રથમ વખત ઓબ્ઝર્વરની સાથે સ્ક્વોડ જોડાશે. જેથી પરીક્ષા દરમિયાન કડક ચેકીંગ કરવામાં આવશે. જેને કારણે એક્ઝામ દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ નહીં થાય.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 12:27 pm

ગાય આધારિત ખેતીથી રાહ ચિંધનારી સફળતા:વડોદરા જિલ્લાના યુવા ખેડૂત અનિતાબેને પ્રાકૃતિક ખેતી અપનાવી મેળવી આર્થિક આત્મનિર્ભરતા

આજના રાસાયણિક ખેતીના યુગમાં વડોદરા જિલ્લાના ગોરજ ગામના 30 વર્ષીય યુવાન મહિલા ખેડૂત અનિતાબેન દિલપેશભાઈ પરમારે એક નવો રાહ ચીંધ્યો છે. વર્ષ 2023 થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને તેમણે સાબિત કર્યું છે કે ખેતી માત્ર આવકનું સાધન નહીં, પરંતુ પ્રકૃતિ સાથેનું સહજીવન છે. બાળપણથી જ ખેતી સાથે જોડાયેલા અનિતાબેને રાસાયણિક ખેતીના વધતા ખર્ચ અને સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરોને જોઈને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો નિર્ણય લીધો હતો. ગાયના છાણ અને ગૌમૂત્રના ઉપયોગ દ્વારા જમીનની ફળદ્રુપતા વધારીને તેઓ આજે ઝેરમુક્ત અને પોષક તત્ત્વોથી ભરપૂર પાક મેળવી રહ્યા છે. માત્ર એક પાક પર નિર્ભર રહેવાને બદલે અનિતાબેન મકાઈ, ફૂલો, રીંગણ, મરચાં અને વિવિધ મોસમી શાકભાજીની મિશ્ર ખેતી કરે છે. ખેતીમાં તેઓ જીવામૃત અને કુદરતી ખાતરોનો ઉપયોગ કરે છે, જેનાથી જમીનના સૂક્ષ્મજીવો સક્રિય થયા છે અને જમીનની પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. પાકોની વિવિધતાને કારણે જીવાતનો પ્રકોપ ઘટ્યો છે અને તેમને આખું વર્ષ આવક મળતી રહે છે. તેમના ખેતરની ઉપજ રાસાયણિક અવશેષોથી મુક્ત હોવાથી ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. આ પદ્ધતિથી જમીનનું પ્રદૂષણ અટકે છે અને કુદરતી સંતુલન જળવાય છે. પ્રાકૃતિક ખેતીમાં ટૂંકા ગાળામાં જ તેમણે નોંધપાત્ર આર્થિક પ્રગતિ કરી છે. સ્થાનિક બજારમાં અને સીધા ગ્રાહકોને વેચાણ કરીને તેઓ સ્થિર આવક મેળવી રહ્યા છે. અનિતાબેન પરમાર આજે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. તેમની મહેનત અને પ્રકૃતિ પ્રત્યેનો આદર સાબિત કરે છે કે યુવા પેઢી દ્રઢ સંકલ્પ સાથે ટકાઉ ખેતીના માર્ગે નવી ક્રાંતિ લાવી શકે છે.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 12:27 pm

​વિસાવદરમાં ગમખ્વાર અકસ્માત, બાળકો-મહિલાઓ લોહીલુહાણ:કાર ચબૂતરા સાથે અથડાતા ગઢવી પરિવારના યુવકનું મોત, 5ની હાલત ગંભીર

વિસાવદર જવાના માર્ગ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. પુરપાટ ઝડપે જતી એક કારના ચાલકે અચાનક કાબુ ગુમાવતા કાર રોડ સાઈડમાં આવેલા ચબૂતરા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર એક જ પરિવારના 6 સભ્યો પૈકી કિશોરભાઈ ગઢવી (ઉં.વ. 40) નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતકનું નામ ​ઇજાગ્રસ્તોની યાદી ચબૂતરા સાથે કાર અથડાતા કચ્ચરઘાણ નીકળી ગયોવિસાવદર રોડ પરથી પસાર થઈ રહેલી કારના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર સીધી ચબૂતરામાં ઘૂસી ગઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને કારના પતરા ચીરીને ફસાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતને પગલે રોડ પર વાહનોની લાંબી કતારો અને ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. ​ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરાયાઆ અકસ્માતમાં ઘાયલ થયેલા પરિવારના પાંચ સભ્યોને તાત્કાલિક 108 મારફતે વિસાવદર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, તમામની હાલત નાજુક જણાતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વિસાવદર પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રાફિક હળવો કરાવવાની કામગીરી કરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 12:23 pm

કુતિયાણા 108ની ટીમે ઘરે જ જોખમી ડિલિવરી કરાવી:માતા અને બાળક બંને સ્વસ્થ, માનવતાનું ઉત્તમ ઉદાહરણ

કુતિયાણા તાલુકાના પસવારી ગામમાં 108 ઇમરજન્સી સેવાના સ્ટાફે સમયસૂચકતા દાખવી એક જોખમી ડિલિવરી સફળતાપૂર્વક કરાવી છે. 108 ટીમે ઘરે જ એક સ્વસ્થ પુત્રનો જન્મ કરાવ્યો, જેનાથી માતા અને બાળક બંને સુરક્ષિત રહ્યા. પસવારી ગામની એક પ્રસૂતા મહિલાને અચાનક પ્રસુતિની પીડા ઉપડતા પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. માહિતી મળતા જ કુતિયાણા 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મહિલા પાંચમી વખત માતા બનવાની હતી અને તેને અસહ્ય પીડા શરૂ થઈ હતી. હોસ્પિટલ લઈ જવાની શક્યતા ન હોવાથી, ઘરે જ ડિલિવરી કરાવવી અનિવાર્ય બની હતી. 108ના EMT રામ લુવા અને પાયલોટ રાજેશ બેસએ પોતાની તાલીમ અને કુશળતાનો ઉપયોગ કર્યો. તેમણે સંપૂર્ણ સાવચેતી સાથે મહિલાની ઘરે જ સુરક્ષિત ડિલિવરી કરાવી, જેના પરિણામે એક સ્વસ્થ પુત્રનો જન્મ થયો. ERCPC ડોક્ટર રૂચિ મેડમના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક સારવાર અપાઈ હતી. ત્યારબાદ માતા અને બાળકને વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ કુતિયાણા ખાતે એમ્બ્યુલન્સ દ્વારા સલામત રીતે ખસેડવામાં આવ્યા. 108 સેવાની આ ઝડપી કામગીરી અને સ્ટાફની નિષ્ઠા પ્રસંશનીય સાબિત થઈ છે. આ સફળ કામગીરી બદલ EMT રામ લુવા અને સમગ્ર 108 ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જિલ્લા પ્રોગ્રામ મેનેજર આકાશ અને જિલ્લા કોઓર્ડિનેટર જયેશ દ્વારા ટીમને શુભેચ્છા અને પ્રશંસા વ્યક્ત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 12:15 pm

શિક્ષાપત્રી મંથન:શિક્ષાપત્રીનું પાલન માનસિક તણાવ ઘટાડી સુખી બનાવે છે

મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ શિક્ષાપત્રીની ૨૦૦મી જયંતી પ્રસંગે 'શિક્ષાપત્રી મંથન' કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આજના અસ્તવ્યસ્ત જીવનને શાસ્ત્રો મસ્ત બનાવે છે. તેમણે કહ્યું કે આજના યુગમાં લોકો હંમેશા 'હું વ્યસ્ત છું, સમય નથી' તેમ કહેતા હોય છે. સમયનો અભાવ સાચો છે, પરંતુ જો જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવી હોય તો આધ્યાત્મિક માર્ગે થોડો સમય કાઢવો અનિવાર્ય છે. આજનો માણસ સવારથી રાત્રી સુધી દોડે છે, જેના કારણે તે હાંફે છે, થાકી જાય છે અને રાત્રે તેને ઊંઘ પણ નથી આવતી. પરિણામે તે માનસિક તણાવનો શિકાર બને છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ પ્રશ્ન કર્યો કે, માણસ શરીર બગાડીને પૈસા કમાય છે અને પછી શરીર સુધારવા માટે પૈસા ખર્ચે છે. શું આ ડહાપણ છે કે ગાંડપણ? તેમણે સાવધાન થવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ઉમેર્યું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી ગ્રંથમાં જે જીવનશૈલી શીખવી છે, તે પ્રમાણે જીવીશું તો સુખી થઈશું. માનસિક તણાવમાંથી મુક્ત થવા માટે ભક્તિ અને સત્સંગ કરવા જોઈએ. તેથી, અસ્તવ્યસ્ત જીવનને સુવ્યવસ્થિત અને આનંદમય બનાવવા માટે નિત્ય સદ્ગ્રંથોનું સેવન કરવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 12:01 pm

વિદેશી વર્ક વિઝાના નામે છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો:દુબઈથી મુંબઈ એરપોર્ટ પર લુકઆઉટ નોટિસના આધારે ધરપકડ

વલસાડ સિટી પોલીસે વિદેશમાં નોકરી માટે વર્ક વિઝા કઢાવી આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર એક આરોપીને મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS) અને નાયબ પોલીસ અધિક્ષક એ.કે. વર્માની સૂચના હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગત 25 ઓક્ટોબર, 2025ના રોજ ફરિયાદી સોનલબેન મનુભાઈએ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે યુકેમાં નોકરી મેળવવા માટે મહમદગવાસ ઉર્ફે ગુલામ અબ્દુલ મજીદ શેખનો સંપર્ક કર્યો હતો. આરોપીએ યુકેના વિઝિટર અને વર્ક વિઝા માટે રૂ. 20 લાખનો ખર્ચ થશે તેમ જણાવી, અલોરા ઇમિગ્રેશન અને એ-ફિટનેસના એકાઉન્ટમાં રૂ. 10 લાખ જમા કરાવ્યા હતા. આરોપીએ વિઝા ન કઢાવી આપતા અને રૂપિયા પણ પરત ન કરતા સોનલબેન સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે તાત્કાલિક વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ ફરિયાદી ઉપરાંત અન્ય ચાર વ્યક્તિઓ પાસેથી પણ વિઝાના બહાને કુલ રૂ. 76,39,000 ઉઘરાવી લીધા હતા. પોલીસે બેંક એકાઉન્ટ, CDR (કોલ ડિટેઈલ રેકોર્ડ) અને પાસપોર્ટની વિગતો તપાસતા આરોપી દુબઈ ફરાર હોવાનું બહાર આવ્યું હતું. આથી, તેના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ બહાર પાડવામાં આવી હતી. ત્યારબાદ, 13 જાન્યુઆરી, 2025ના રોજ આરોપી દુબઈથી મુંબઈ એરપોર્ટ પર પરત ફરતી વખતે લુકઆઉટ નોટિસના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીની ઓળખ મોહમ્મદ ગવાસ ઉર્ફે ગુલામ અબ્દુલ મજીદ શેખ (રહે. સહયોગ નગર, મોગરાવાડી, વલસાડ) તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી યુકે અને ન્યુઝીલેન્ડ જવા ઇચ્છુક લોકોના પાસપોર્ટ મેળવી ઇન્ટરવ્યુ કોલ લેટર આપવાના બહાને નાણાં ઉઘરાવતો હતો. વલસાડ સિટી પોલીસ મથકે BNSની કલમ 316(2) અને 318(4) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે નાગરિકોને સોશિયલ મીડિયા પર આવતી વિઝા સંબંધિત જાહેરાતોથી સાવચેત રહેવા અને વિશ્વાસપાત્ર કંપનીનો જ સંપર્ક કરવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 11:59 am

મોરબી પાંજરાપોળને એક જ દિવસમાં મળ્યું ₹1.05 કરોડનું રેકોર્ડબ્રેક દાન:ગત વર્ષ કરતાં 24 લાખ વધુ, 17 મણથી વધુ લીલો ઘાસચારો પણ અર્પણ; મકરસંક્રાંતિએ વરસી દાનની સરવાણી

'દાન એ જ પુણ્ય'ની ઉક્તિને મોરબીવાસીઓએ ફરી એકવાર સાર્થક કરી બતાવી છે. મકરસંક્રાંતિના પવિત્ર પર્વ નિમિત્તે મોરબી પાંજરાપોળ ખાતે ગૌસેવા માટે દાનનો અભૂતપૂર્વ પ્રવાહ વહ્યો હતો. ગત વર્ષના 76 લાખના આંકડાને વટાવીને આ વર્ષે દાતાઓએ ઉદાર હાથે રૂપિયા 1.05 કરોડથી વધુનું રોકડ દાન અને 17 મણથી વધુ લીલો ઘાસચારો અર્પણ કરીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. 39 સ્ટોલ પર ઉમટ્યા દાતાઓમકરસંક્રાંતિના પર્વે ગૌવંશના નિભાવ માટે મોરબીના વિવિધ વિસ્તારોમાં કુલ 39 જેટલા દાન કેન્દ્રો (સ્ટોલ) ઉભા કરવામાં આવ્યા હતા. સવારથી જ આ સ્ટોલ પર લોકોની ભીડ જોવા મળી હતી. મોરબીના નામી-અનામી ઉદ્યોગકારો, સિરામિક એસોસિએશનના સભ્યો અને સામાન્ય નાગરિકોએ પોતાની યથાશક્તિ મુજબ ગૌસેવામાં યોગદાન આપ્યું હતું. રાજવી પરિવારનો વારસો અને આધુનિક વ્યવસ્થાપનમોરબી પાંજરાપોળનો ઇતિહાસ ઘણો જૂનો અને ભવ્ય છે. વર્ષો પહેલા મોરબીના રાજવી પરિવારે હજારો હેક્ટર જમીન અબોલ જીવોના નિભાવ માટે અર્પણ કરી હતી. પાંજરાપોળ પાસે રહેલી આ જમીન (વીડી)નો સદુપયોગ કરીને, 6000થી વધુ ગૌવંશ માટે જરૂરી દૈનિક ઘાસચારાના 30 ટકા જેટલી જરૂરિયાત સંસ્થા પોતે જ પૂરી કરે છે. સામાન્ય જનતાથી લઈને ઉદ્યોગપતિઓ સહભાગીહાલમાં મોરબીના ધારાસભ્ય અને પાંજરાપોળના ટ્રસ્ટી કાંતિભાઈ અમૃતિયા મુંબઈ ખાતે કેન્સરની સારવાર હેઠળ હોવા છતાં, તેમણે સોશિયલ મીડિયા દ્વારા વીડિયો સંદેશ પાઠવીને મોરબીના લોકોને ગૌસેવામાં જોડાવા ભાવભરી અપીલ કરી હતી. બીજી તરફ, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયાએ રવાપર રોડ સ્થિત સ્ટોલ પર રૂબરૂ હાજર રહીને લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. ગૌસેવા માટેનો ટાર્ગેટ પાર થયોપાંજરાપોળના ટ્રસ્ટી વેલજીભાઇ પટેલ (બોસ), હિતેશભાઇ ભાવસાર અને જયેશભાઇ શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષે 75 લાખનો લક્ષ્યાંક હતો તેની સામે 76 લાખ મળ્યા હતા. પરંતુ આ વર્ષે મોરબીની જનતાએ તમામ અપેક્ષાઓ પાર કરી 1.05 કરોડનું દાન આપી ગૌભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોરબી પાંજરાપોળમાં હાલ 6000થી વધુ ગૌવંશ આશ્રય લઈ રહ્યા છે, જેમના નિભાવ માટે આ દાનની રકમ આશીર્વાદરૂપ સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 11:54 am

અમદાવાદમાં 4 શખસોએ છરીના ઘા ઝીંક યુવકને મોતને ઘાટ ઉતાર્યો:મિત્રની બહેન સાથે ફરવાની ના પાડતા બોલાચાલી થઈ હતી, સમાધાન માટે બોલાવી ખૂની ખેલ ખેલ્યો

અમદાવાદના મણિનગરમાં આવેલા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે ઉત્તરાયણની રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. જૂની અદાવતમાં કેટલાક શખસોએ યુવકને સમાધાન માટે બોલાવી છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા જ કાગડાપીઠ અને મણિનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે, આ સમગ્ર મામલે પોલીસે આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી છે. મંથને ચિરાગને સમાધાન માટે બોલાવ્યોશહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા ચિરાગ રાઠોડે તેના મિત્રની બહેનને બહેન બનાવી હતી. આ યુવતી તેની સાથે કામ કરતા મંથન ઉર્ફે ઋત્વિક પરમાર સાથે ફરતી હતી. આ અંગે ચિરાગને જાણ થતાં તેણે મંથનને બેથી ત્રણ વખત ટોક્યો હતો. આ મુદ્દે બંને વચ્ચે રકઝક પણ થઈ હતી. જોકે, ગઈકાલ રાત્રે મંથને ચિરાગને સમાધાન કરવા માટે બોલાવ્યો હતો. ચિરાગને ઉપરાછાપરી છરીના ઘા ઝીંક્યાચિરાગ એકલો સમાધાન માટે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે ગયો હતો. જ્યારે મંથન તેની સાથે જયદીપ શાહ, હર્ષિલ શાહ અને વિજય ઉર્ફે વી.પી. પરમારને લઈ ગયો હતો. ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે સમાધાન માટે ભેગા થયા ત્યારે ઉગ્ર બોલાચાલી થતા મંથન અને તેની સાથે આવેલા ત્રણ શખસોએ ભેગા મળીને ચિરાગને માર માર્યો હતો. જે બાદ ચિરાગને ઉપરાછાપરી છરીના ઘા ઝીંક્યા હતા. આરોપીઓને શોધવા પોલીસે અલગ અલગ ટીમો બનાવીચિરાગને ગંભીર ઈજા થતા સ્થળ પર જ મોત થયું હતું. બનાવની જાણ થતા ઝોન 6 ડીસીપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસ દ્વારા ચિરાગના મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો છે. હત્યા બાદ ફરાર થયેલા આરોપીની તપાસ માટે અલગ અલગ ટીમો રવાના કરાઈ હતી. ઝોન 6 ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, જૂની અદાવતમાં સમાધાન માટે બોલાવી હત્યા કરવામાં આવી હતી. આરોપીની ઓળખ થઈ છે જેના આધાર ધરપકડ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 11:52 am

સુરતમાં પંતગ દોરીએ 3 લોકોના જીવ લીધા, પિતા-પુત્રી બ્રિજથી પટકાયા, યુવકનું ગળું કપાયું

Surat News: ઉત્તરાયણનો તહેવાર અનેક પરિવારો માટે માતમ લઈને આવ્યો છે. 14મી જાન્યુઆરીના રોજ સુરતમાં પતંગની દોરી કારણે અલગ-અલગ દુર્ઘટનાઓમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. સુરતમાં એક પરિવાર બ્રિજ પરથી નીચે પટકાતા પિતા-પુત્રીના મોત નીપજ્યાં છે. જ્યારે યુવકને ગળામાં દોરી ફસાતા યુવકનું મોત નીપજ્યું હતું. સુરતના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર દોરીના કારણે અકસ્માત સર્જાયો

ગુજરાત સમાચાર 15 Jan 2026 11:38 am

બગદાણાનો વિવાદ ઉગ્ર, કોળી સમાજના 4 યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ:ધામ બહાર જ્વલનશીલ પદાર્થ માથે છાટ્યું; સાચા આરોપીની ધરપકડ કેમ નથી કરતા?: કિશન મેર

ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ‘નવનીતભાઈને ન્યાય આપો’ના નારા સાથે કોળી સમાજના ચાર યુવકે બગદાણા ધામની બહાર જાહેરમાં બોટલમાંથી જ્વલનશીલ પદાર્થ કાઢી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જોકે, આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે ચારેય યુવાનોની અટકાયત કરી હતી. યુવકનો આત્મવિલોપન કરવાની કોશિશ કરતો લાઇવ વીડિયો પણ સામે આવ્યો છે. યુવાનો દિવાસળી ચાંપે તે પહેલાં જ પોલીસે દબોચી લીધા​આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, બગદાણા વિવાદમાં લાંબા સમયથી ન્યાયની માગ કરી રહેલા કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજરોજ (15 જાન્યુઆરી) ચાર યુવાનો એકાએક એકઠા થયા હતા અને ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. આ યુવાનો પોતાની સાથે જ્વલનશીલ પદાર્થ લઈને આવ્યા હતા અને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ​ઘટનાસ્થળે હાજર પોલીસ કાફલાએ યુવાનો દિવાસળી ચાંપે તે પહેલાં જ તેમને દબોચી લીધા હતાં. પોલીસે ચારેય યુવકોની અટકાયત કરી છે અને પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે તેમને તાત્કાલિક કોઈ ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બગદાણામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો​આ યુવકો બગદાણા ધામ ગેઇટ બહાર નવનીતભાઈને ન્યાય આપો, ન્યાય આપો ના નારા લગાવ્યા હતા. કોળી સમાજના અગ્રણીઓ અને યુવાનોમાં અન્યાયની લાગણીને પગલે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટનાને પગલે બગદાણામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ​હાલમાં બગદાણામાં શાંતિ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણ અને સામાજિક વાતાવરણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ અંગે કોળી સમાજ ના આગેવાન અને એડવોકેટ કિશન મેરએ જણાવ્યું હતું કે, આજ રોજ બગદાણા મુકામે કોળી સમાજના યુવાનો નવનીતભાઈને ન્યાય માટે આત્મવિલોપન કરવાના હતા ત્યારે, આજે કોળી સમાજના અગ્રણીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી, તેમજ પોલીસ તંત્ર દ્વારા અડધી રાતે તેમની ધરપકડ કરવામાં આવી, અમુક લોકોને આગલા દિવસે ધરપકડ કરવામાં આવી ત્યારે મારે આ પોલીસ તંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં પોલીસ તંત્ર દ્વારા જ્યારે કોળી સમાજના આગેવાનોની ધરપકડ કરો છો, ત્યારે આ સાચા આરોપીની ધરપકડ કેમ નથી કરતા ? ​આજરોજ આ ભલે તમે ધરપકડ કરી પણ કોળી સમાજ તે શાંતિથી જંપવાનો નથી અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવાનો છે અને આજરોજ અમે કીધું હતું કે, બગદાણા ધામ ખાતે આત્મવિલોપન કરશે તેમાં અમારી ટીમના બે સભ્યોએ સ્થળ પર જઈ અને આત્મવિલોપન કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે અને તેને પોલીસ દ્વારા ફરીથી ધરપકડ કરવામાં આવી છે, ત્યારે મારે આ પોલીસ તંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં જ્યારે પોલીસ તંત્ર દ્વારા અમારા સમાજના આગેવાનોની ધરપકડ કરો છો તો કેમ શા માટે નવનીતભાઈના આરોપીને મુખ્ય આરોપીની ધરપકડ નથી કરતા ? આ પોલીસ તંત્રની ઢીલી નીતિ કેમ કોળી સમાજની સાથે હંમેશા અન્યાય જ કરવાની છે ?

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 11:37 am

રાજકોટ ડિવિઝન રેલવે સ્ટોપેજ અંગે મહત્વના સમાચાર:ડબલ ટ્રેકની કામગીરીને પગલે લાખાબાવળ અને પીપળી સ્ટેશને ટ્રેન સ્ટોપેજ અસ્થાયી રૂપે રદ

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં લાખાબાવળ–પીપળી–કાનાલુસ સેક્શન વચ્ચે હાલમાં ડબલ ટ્રેકની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ ટેકનિકલ કામગીરીને કારણે રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાને રાખીને લાખાબાવળ અને પીપળી સ્ટેશન પર કેટલીક ટ્રેનોના સ્ટોપેજ 10 February, 2026 સુધી અસ્થાયી રૂપે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાખાબાવળ સ્ટેશને ટ્રેન સંખ્યા 19209/19210 ભાવનગર–ઓખા–ભાવનગર એક્સપ્રેસ તેમજ ટ્રેન સંખ્યા 59552/59551 ઓખા–રાજકોટ–ઓખા લોકલના સ્ટોપેજ તાત્કાલિક અસરથી 10.02.2026 સુધી રદ રહેશે. પીપળી સ્ટેશન માટે ટ્રેન સંખ્યા 19210 ઓખા–ભાવનગર એક્સપ્રેસનું સ્ટોપેજ 10.02.2026 સુધી બંધ રહેશે. જોકે, રાહતના સમાચાર એ છે કે ટ્રેન સંખ્યા 19209 ભાવનગર–ઓખા એક્સપ્રેસનું સ્ટોપેજ 16 January, 2026 થી પુનઃ સ્થાપિત કરી દેવામાં આવ્યું છે, જે રાબેતા મુજબ ચાલુ રહેશે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાની મુસાફરીનું આયોજન કરતા પૂર્વે અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર ટ્રેનોના લેટેસ્ટ શિડ્યુલની ચકાસણી કરી લે, જેથી મુસાફરી દરમિયાન કોઈ અસુવિધા ન થાય.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 11:12 am

જામનગરમાં 78 પક્ષી, 23 વ્યક્તિ ઘાયલ:પતંગના દોરાથી ઈજા, બે વ્યક્તિ હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ

જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં મકરસંક્રાંતિ પર્વ દરમિયાન પતંગ અને દોરાના કારણે કુલ 78 પક્ષીઓ ઘાયલ થયા હતા. આ ઉપરાંત, 23 વ્યક્તિઓ પણ ઈજાગ્રસ્ત થઈ હતી. તમામ ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી છે, જ્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિઓમાંથી બે હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘાયલ થયેલા પક્ષીઓમાં 19 કબૂતર, એક કાગડો, એક કોયલ અને એક પોપટનો સમાવેશ થાય છે. ફોરેસ્ટ વિભાગ, મહાનગરપાલિકા અને વિવિધ એનજીઓ સંસ્થાઓ દ્વારા કરુણા અભિયાન હેઠળ સ્થાપિત હંગામી સારવાર કેન્દ્રોમાં આ તમામ પક્ષીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. સદભાગ્યે, પતંગના દોરાના કારણે એક પણ પક્ષીના મૃત્યુના અહેવાલ નથી. પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થયેલા 23 વ્યક્તિઓમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તેમને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ 21 વ્યક્તિઓને રજા આપી દેવામાં આવી હતી. હાલ બે વ્યક્તિઓ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સારવાર હેઠળના દર્દીઓમાં હાપા વિસ્તારના 40 વર્ષીય રાજેશ મકવાણાનો સમાવેશ થાય છે, જે નવા ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થતી વખતે પતંગના દોરાથી ગળાના નીચેના ભાગે ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને ભારે રક્તસ્ત્રાવ થયો હતો અને હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત, આંબેડકર બ્રિજ પરથી પસાર થઈ રહેલા 42 વર્ષીય ડોલન સમીરભાઈ દાસ પણ પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થતાં જી.જી. હોસ્પિટલમાં દાખલ છે.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 11:08 am

વલસાડ હાઇવે પર અકસ્માત, બાઇકચાલકનું મોત:ઉત્તરાયણ ઉજવી પરત ફરતા બે મિત્ર ઘાયલ, એકની હાલત ગંભીર

વલસાડ હાઇવે પર ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સુરતથી દમણ ઉત્તરાયણની ઉજવણી કરીને પરત ફરી રહેલા બાઇક ચાલક મહેન્દ્ર શંભુનાથ રાજભરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં તેમની સાથે બેઠેલા બે મિત્રો ઘાયલ થયા હતા, જેમાંથી એકની હાલત ગંભીર છે. મહેન્દ્ર રાજભર (ઉંમર 36), જે સુરતના ડિંડોલી માર્ક પોઈન્ટ દશામાતા મંદિર પાસે રહેતા હતા અને મૂળ ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લાના વતની હતા. તેઓ 14 જાન્યુઆરી 2026ના રોજ તેમના મિત્રો સાથે મોપેડ પર દમણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા ગયા હતા. સાંજના સમયે તેઓ દમણથી સુરત તરફ પરત ફરી રહ્યા હતા. રાત્રે આશરે 8:30 થી 9:30 વાગ્યાની આસપાસ, વલસાડ હાઇવે પર ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પર, નેશનલ હાઈવે-48 પર વાપીથી સુરત જતાં માર્ગ પર આ ઘટના બની હતી. મહેન્દ્ર રાજભર પોતાની એક્ટીવા (નં. GJ-05-LW-2794) પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી રહ્યા હતા. ઓવરટેક કરવાની ઉતાવળમાં તેમની મોપેડ અજાણ્યા ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં મહેન્દ્ર રાજભરને માથા અને ચહેરાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે વલસાડ સીટી પોલીસ અને 108ની ટીમને જાણ કરી હતી. 108ની ટીમે ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતમાં મોપેડ પર પાછળ બેઠેલા મિત્ર વિવેક મુન્ના રાજભર (ઉંમર 18)ને પેટના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેમને પ્રથમ વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અન્ય મિત્ર સુંદરમ મુન્ના રાજભર (ઉંમર 18)ને ચહેરાના ભાગે સામાન્ય ઇજા થતાં તેમને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વલસાડ સીટી પોલીસ મથકે સોનુ સંભુનાથ રાજભરે બેદરકારીપૂર્વક મોપેડ ચલાવી અકસ્માત સર્જનાર મોપેડ ચાલક મહેન્દ્ર રાજભર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે ગયેલા યુવકનું આ રીતે અકાળે મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 11:05 am

ધનારક પૂર્ણ, રાજ્યમાં શુભકાર્યોનો પ્રારંભ:આગામી 6 મહિનામાં 44 લગ્ન મુહૂર્ત, વ્યવસાયોમાં તેજી

રાજ્યભરમાં ધનારક (કમૂરતા) પૂર્ણ થતાં શુભ કાર્યોનો પ્રારંભ થયો છે. આગામી છ મહિનામાં કુલ 44 લગ્ન મુહૂર્ત ઉપલબ્ધ છે, જેના કારણે શુભ પ્રસંગો સાથે સંકળાયેલા વ્યવસાયોમાં તેજી જોવા મળશે. જ્યોતિષીઓના મતે, 14 જાન્યુઆરી, બુધવારે બપોરે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ ધનારક પૂર્ણ થયા હતા. આ સાથે જ રાજ્યભરમાં ઢોલ-શરણાઈના સૂર ગુંજવા માંડશે અને જમણવાર, વરઘોડા તેમજ દેવદર્શન સહિતના નાના-મોટા કાર્યક્રમોનો પ્રારંભ થશે. હિંદુ શાસ્ત્રો અનુસાર, ધનારક, મિનારક અને ગુરુ-શુક્રના અસ્તને કારણે શુભ કાર્યો વર્જિત ગણાય છે. જોકે, ગ્રહો અને સંયોગોને લીધે, 3 ફેબ્રુઆરી, 2026 સુધી શુક્ર અસ્તમાં હોવા છતાં, કુલ 44 શુભ મુહૂર્તો પૈકી પહેલું મુહૂર્ત 7 ફેબ્રુઆરીના રોજ છે. નોંધનીય છે કે, 16 જુલાઈ, અષાઢ સુદ બીજ, ગુરુવારના રોજ સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે, તે સમયગાળા દરમિયાન લગ્ન મુહૂર્તના યોગ નથી. આગામી મહિનાઓમાં મુહૂર્તોની સંખ્યા નીચે મુજબ છે: ફેબ્રુઆરીમાં 9, માર્ચમાં 9, એપ્રિલમાં 5, મે મહિનામાં 8, જૂનમાં 6 અને જુલાઈમાં 7. આમ કુલ 44 મુહૂર્ત ઉપલબ્ધ છે. વધુમાં, 17 મે, 2026 થી 15 જૂન, 2026 સુધી અધિક માસ રહેશે, જ્યારે 25 જુલાઈથી 21 નવેમ્બર સુધી ચાતુર્માસ રહેશે.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 10:51 am

હેરીટેઝ મણીયાર હોલ હવે ઓડિટોરિયમ બન્યો:રાજકોટ મનપા દ્વારા રીનોવેશન બાદ ભાડામાં તોતિંગ વધારો, અગાઉના રૂ. 2500 સામે હવે શિફ્ટ મુજબ રૂ. 6થી 12 હજાર વસુલાશે

સૌરાષ્ટ્ર રાજ્યના સમયે જ્યાં વિધાનસભા બેસતી હતી તેવા રાજકોટની શાન સમા અરવિંદભાઇ મણીયાર હોલનું રૂ.3.49 કરોડના ખર્ચે કોર્પોરેશન દ્વારા રિનોવેશન કરવામાં આવ્યું છે. અગાઉ નોન એ.સી. હોલમાં સેન્ટ્રલી એ.સી.ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ હોલનું નિર્માણ અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યું હોવાના કારણે તેનો સમાવેશ હેરિટેઝ બિલ્ડીંગ તરીકે કરવામાં આવ્યો છે. અરવિંદભાઇ મણીયાર હોલના રિનોવેશનમાં બહારનું હયાત સ્ટ્રક્ચરમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે અંદર મોટાપાયે ફેરફાર કરી દેવામાં આવ્યો છે. જોકે રીનોવેશન બાદ અગાઉના રૂ. 2500 સામે હવે શિફ્ટ મુજબ રૂ. 6થી 12 હજાર વસુલાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટના જ્યુબિલી ખાતે આવેલા હેરીટેઝ અરવિંદ મણિયાર હોલની કાયાપલટ કર્યા બાદ ઓડિટોરિયમમાં બદલવામાં આવ્યો છે. આ ઐતિહાસિક બિલ્ડીંગ હોય બહારથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ તેની અંદર સેન્ટ્રલ એસી, આરામદાયક બેઠક વ્યવસ્થા અને સાઉન્ડ પ્રુફ બનાવવા સહિત મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. જોકે કાયાપલટ કર્યા બાદ હવે તેનાં ભાડામાં પણ તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જેમાં અગાઉના રૂ. 2500 ભાડા સામે હવે અલગ અલગ શિફ્ટ મુજબ રૂ. 6થી 12 હજાર વસુલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રીનોવેશનની વાત કરીએ તો મણીયાર હોલમાં અગાઉ 600 લોકોની બેઠક વ્યવસ્થા હતી. જોકે તેમાં ખુરશીઓ વચ્ચે અપૂરતી જગ્યા રહેતી હોવાથી હવે અહીં 519 પુશબેક ખુરશી મુકવામાં આવી છે. આખા હોલમાં સેન્ટ્રલ એ.સી.સિસ્ટમ, ઓડિટોરિયમની સાઈડની દિવાલોમાં એકોસ્ટીક પેનેલિંગ કામ, મેઈન સ્ટેજ પર વૂડમ ફ્લોરિંગ સહિતની સુવિધા આપવામાં આવી છે. ભાડાની વાત કરવામાં આવે તો આ હોલ હબેથી ત્રણ શિફ્ટમાં ભાડે અપાશે. અટલ બિહારી ઓડિટોરિયમ અને પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ જેવા ભાડા આ નવા ઓડિટોરિયમનાં પણ રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં દરેક શિફ્ટમાં મેન્ટેનન્સ ચાર્જ રૂ. 3,000 રાખવામાં આવ્યો છે. સોમથી શનિ ભાડું ડિપોઝીટસવારે 8થી1 6,000 20,000બપોરે 2થી7 8,000 20,000રાત્રે 8થી1 10,000 20,000 રવિવારસવારે 8થી1 8,000 20,000બપોરે 2થી7 10,000 20,000રાત્રે 8થી1 12,000 20,000 રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટનું ગૌરવ અને હેરિટેજ ગણાતા અરવિંદભાઈ મણિયાર હોલનું રીનોવેશન કામ પૂર્ણ થયું છે. આ હોલ ઘણા વર્ષોથી રીનોવેશન હેઠળ હતો. અગાઉ હોલ નોન-એસી (Non-AC) હતો, પરંતુ હવે રાજકોટ અને સમગ્ર દેશ જ્યારે આધુનિકતા તરફ વધી રહ્યો છે ત્યારે આ હોલને સંપૂર્ણપણે સેન્ટ્રલ એસી (Central AC) બનાવવામાં આવ્યો છે. તેમજ બેઠક વ્યવસ્થા સહિતના મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. જેની સંસ હોલમાં ભાડામાં પણ નજીવો વધારો કરાયો છે અને ટૂંક સમયમાં જ તેને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ હોલનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અરવિંદ મણીયાર હોલમાં ચાલતા કાર્યક્રમોથી જ્યુબીલી ગાર્ડનમાં આવતા લોકોને તકલીફ ઉભી થાય નહીં તે માટે આ હોલને સાઉન્ડ પ્રૂફ કરવામાં આવ્યો છે. હોલની અંદર આવેલ સ્ટેજમાં પણ થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. તેમજ ટોયલેટ-બાથરૂમ પણ નવા બનાવવામાં આવ્યા છે. આ હેરિટેઝ બિલ્ડીંગ પ્રત્યેક લોકોના દિલમાં ખરેખર માન-સન્માન ઉભું થાય તેવા પ્રયાસો રીનોવેશનમાં કરવામાં આવ્યા છે. જોકે આ રીનોવેશન બાદ નક્કી કરવામાં આવેલું ભાડું ખરેખર વધુ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 10:46 am

ભાવેણુનું ઠંડુ ગાર કર્યું:શિયાળાની સિઝનમાં સૌપ્રથમ વખત લઘુતમ તાપમાન સડસડાટ ગગડીને 10.6 ડિગ્રી એ પહોંચી જતા શહેરીજનો ઠંડીમાં ઠુંઠવાયા

ગોહિલવાડમાં શિયાળાની સિઝનમાં સૌપ્રથમ વખત લઘુતમ તાપમાન સડસડાટ ગગડીને 10.6 ડિગ્રી એ પહોંચી જતા શહેરીજનો ઠંડીમાં ઠુંઠવાયા પંથકમાં માત્ર એક જ રાતમાં પૂર્વતર દિશામાંથી હિમભર્યા પવનો ફુંકાતા તાપમાનનો પારો સડસડાટ ગગડ્યો છે લઘુતમ તાપમાન 10.6 ડીગ્રી પહોંચી જતા શહેરીજનો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે, આજે વહેલી સવારે કાતિલ ઠંડી જોવા મળી રહી હતી દિવસભર ઠંડા પવનો નું સામ્રાજ્ય અકબંધ જોવા મળ્યું હતું. લોકો ઘર બહાર નીકળતા પૂર્વે ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા, શહેરો તથા પહાડી વિસ્તારોમાં ઠંડીનું મોજુ ફરી વળશે, સોમવારે મોડી રાત્રે 6 કિલોમીટર પ્રતિ કલાકની ની ઝડપે હુંકાયેલા બર્ફીલા પવનોએ મહત્તમ તથા લઘુત્તમ તાપમાનમાં માત્ર એક જ રાતમાં 5 ડિગ્રી કરતાં વધુનો ઘટાડો થતા એકાએક ઠંડી નું મોજું ફરી વળ્યું હતું, ભાવનગરમાં શિયાળાની ધીમી ગતિ શરૂઆત બાદ આજે એકાએક પારો ગગડયો હતો, આજે તાપમાનનો પારો 10.6 ડિગ્રીએ પહોંચી જતા શહેરભરમાં ગુલાબી ઠંડી નો પ્રારંભ થયો હતો, ગઈકાલે મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15.4 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 33 ટકા અને પવનની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, છેલ્લા પાંચ દિવસ નો તાપમાન નો પારો તા.10 જાન્યુઆરી ને શનિવારના રોજ મહત્તમ તાપમાન 27.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23.4 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 72 ટકા અને પવનની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, તા.11 જાન્યુઆરી ને રવિવારના રોજ મહત્તમ તાપમાન 27.3 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 73 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, તા.12 જાન્યુઆરી ને સોમવારના રોજ મહત્તમ તાપમાન 27.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 80 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, તા.13 જાન્યુઆરી ને મંગળવારના રોજ મહત્તમ તાપમાન 29.5 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 78 ટકા અને પવનની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, તા.14 જાન્યુઆરી ને બુધવારના રોજ મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15.4 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 53 ટકા અને પવનની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, તા.15 જાન્યુઆરી ને ગુરુવારના રોજ લઘુત્તમ તાપમાન 10.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 66 ટકા અને પવનની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 10:45 am

રાજકોટ મોરબી હાઈવે પર કાર અકસ્માતમાં બે બાળકોના મોત:સ્કોર્પિયોએ I-20ને ટક્કર મારતા કારનો બુકડો બોલાયો, બે પરિવારના 4 લોકો ઈજાગ્રસ્ત

રાજકોટ-મોરબી હાઈવે પર 14 જાન્યુઆરીની મોડી રાત્રે સ્કોર્પિયો અને I-20 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કોર્પિયો કારનો બુકડો બોલાઈ ગયો હતો. આ ઘટનામાં બે બાળકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. વાછકપર બેડી ગામના મોક્ષ બાબરીયા (ઉ.વ. 3) અને વાંકાનેર ગામની શ્રેયા મદરેસણીયા (ઉ.વ. 9)નું મોત નિપજ્યું છે. સ્કોર્પિયો કારે I-20ને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માતમળતી માહિતી મુજબ રાજકોટ નજીક બેડી વાછકપર ગામે રહેતા બાબરીયા પરિવાર ગઈકાલે મકરસંક્રાંતિ પર્વ મનાવવા વાંકાનેર ખાતે રહેતા તેમના સંબંધીના ઘરે ગયો હતો અને મોડી રાત્રે પોતાના ગામ બેડી વાછકપર પરત આવતો હતો. આ દરમિયાન I-20 કારમાં તેમની સાથે મદરેસણીયા પરિવાર પણ હતો. ત્યારે કાગડદી પાટિયા પાસે વળાંક લેતા સમયે રાજકોટ તરફતી આવતી સ્કોર્પિયો કાર (GJ-04-FA-7771)એ I-20 કારને અડફેટે લીધી હતી. અકસ્માતમાં બે બાળકોના મોતI-20માં સવાર બંને માસીયાઈ ભાઈ-બહેનના મોત નિપજ્યા હતા. જ્યારે ગાડીમાં સવાર અન્ય પરિવારજનો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને બાળકોના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. સ્કોર્પિયો ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરીપોલીસે બેડી વાછકપર ગામે રહેતા મોક્ષ બાબરીયા (ઉ.વ. 3) અને વાંકાનેર રહેતી શ્રેયા મદરેસણીયા (ઉ.વ. 9)નું પોસ્ટમોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્કોર્પિયો કારના ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 10:42 am

ઉતરાયણ પર્વે દારૂની રેલમછેલ રોકવા વડોદરા પોલીસ એલર્ટ:કપુરાઈ પોલીસે કારમાંથી 5.44 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો, એક ઝડપાયો, 2 વોન્ટેડ, ગોરવા પોલીસે 1.59 લાખના દારૂ સાથે એકની ધરપકડ કરી

ઉતરાયણ પર્વે દારૂની રેલમછેલ થતી રોકવા માટે વડોદરા પોલીસ થઈ ગઈ છે અને વિવિધ સ્થળોએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરની કપુરાઈ પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ મોટી કાર્યવાહી કરીને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે. બીજી તરફ ગોરવા પોલીસે 1.59 લાખના દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. કપુરાઇ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે નેશનલ હાઈવે નંબર 48 પર કચરાના ઢગલા અને મુસ્લીમ સમાજના કબ્રસ્તાન પાસેના ગંદા નાળા વિસ્તારમાં વોચ બેસાડી હતી. આ દરમિયાન મહિન્દ્રા બોલેરો કાર (GJ-34-N-1041) આવતાં તેને રોકીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી ખાખી રંગના બોક્સમાંથી 5.44 લાખ રૂપિયાની કિંમતની 840 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે કારના ડ્રાઈવર ભુપેન્દ્ર ભારતસિંહ તોમર (ઉંમર ૩૦ વર્ષ, રહે. બડી સરદી, પટેલ ફળીયું, તા. કઠીવાડા, જિ. અલીરાજપુર, મધ્યપ્રદેશ) ની ધરપકડ કરી છે. આ ઉપરાંત દારૂ ભરી આપનાર બાપુસિંગ તોમર (રહે. બડી સરદી, અલીરાજપુર, મધ્ય પ્રદેશ) અને દારૂ મંગાવનાર સોનું (રહે. વોરા ગામડી, વડોદરા)ની પણ શોધખોળ ચાલુ છે. ગોરવા પોલીસે 1.59 લાખનો દારૂ જપ્ત કર્યો બીજી તરફ, મકરસંક્રાંતિ તહેવારના દિવસોમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી રોકવા ગોરવા પોલીસે સફળ કાર્યવાહી કરી છે. ગોરવા પોલીસ ટીમે સર્વેલન્સ અને પેટ્રોલિંગ દરમિયાન ઝાંસી કી રાણી સર્કલ પાસે રોડ કરીને 1.59 લાખ રૂપિયાની કિંમતની 214 દારૂની બોટલો અને બીયરના ટીન જપ્ત કર્યા છે અને રાજ હરીશભાઈ ઠાકોર(ઉંમર 30 વર્ષ, રહે. બી/પી રેસકોર્સ સોસાયટી, ઝાંસી કી રાણી સર્કલ પાસે, ગોરવા, વડોદરા)ની ધરપકડ કરી છે.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 10:40 am

મોરબીમાં પતંગ સ્ટોલ પાસે મારામારી, 7 લોકોને ઇજા:અપશબ્દો બોલવા બાબતે બોલાચાલી બાદ બંને પક્ષે સામસામી ફરિયાદ

મોરબીના વાવડી રોડ પર આવેલા ગણેશનગરના નાકા પાસે પતંગના સ્ટોલ નજીક અપશબ્દો બોલવા બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં એક મહિલા સહિત કુલ સાત વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે જુદા જુદા બે ગુના નોંધી આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. વજેપર શેરી નં. 13, મોરબીના રહેવાસી હાર્દિકભાઈ પ્રવીણભાઈ કંઝારીયા (ઉં.વ. 23) એ યોગેશભાઈ (રહે. મોરબી) અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપીઓ ફરિયાદીના માસીના ઘરની બાજુના કોમ્પ્લેક્સની છત પર અપશબ્દો બોલી રહ્યા હતા. તેમને અપશબ્દો બોલવાની ના પાડતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. યોગેશભાઈએ જયેશભાઈને ધોકા વડે માર માર્યો હતો, જ્યારે અજાણ્યા શખ્સોએ હાર્દિકભાઈને માથા અને નાક પર માર માર્યો હતો. જયંતિભાઈને અજાણ્યા શખ્સે ડાબા પગે કોસનો ઘા મારી ઈજા પહોંચાડી હતી અને સોનલબેનને પણ માર મારવામાં આવ્યો હતો. સામા પક્ષે, નાની વાવડી રોડ પર બાયપાસ ચોકડી નજીક જેપૂરીયાની વાડીમાં રહેતા ભાવેશભાઈ નાનજીભાઈ પરમાર (ઉં.વ. 25) એ જયંતીભાઈ ઉર્ફે લાલો, હાર્દિકભાઈ, જયેશભાઈ અને સોનલબેન (તમામ રહે. મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાવેશભાઈએ જણાવ્યું કે, વાવડી રોડ પર ગણેશનગરના નાકા પાસે તેમના પતંગના સ્ટોલ પર આરોપીઓ અપશબ્દો બોલ્યા હતા અને સ્ટોલ બંધ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપીઓએ ફરિયાદી અને સાક્ષીઓને ધોકા, પથ્થરના છૂટા ઘા અને છરી વડે ઈજા પહોંચાડી હતી. બંને ફરિયાદોના આધારે પોલીસે ગુના નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. ઈજાગ્રસ્તોને સારવાર અપાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 10:19 am

પાટણમાં દારૂ સાથે બુટલેગરો ફરાર:6.26 લાખનો મુદ્દામાલ જપ્ત, 357 બોટલ વિદેશી દારૂ મળ્યો

પાટણ શહેરના છીંડીયા દરવાજા પાસે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, પોલીસ પહોંચે તે પહેલાં જ બે બુટલેગરો દારૂ ભરેલી કાર અને એક્ટિવા છોડીને ફરાર થઈ ગયા હતા. પોલીસે કુલ 6.26 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક બલેનો કારમાં વિદેશી દારૂ લાવી તેનું કટિંગ કરવામાં આવી રહ્યું છે. બાતમીવાળી જગ્યાએ પોલીસ પહોંચતા જ પ્રકાશસિંહ સોલંકી (રહે. કંબોઈ, તા. કાંકરેજ) અને એક્ટિવાના ચાલક પોલીસને જોઈને ગલીઓમાં નાસી છૂટ્યા હતા. પોલીસે પંચોની હાજરીમાં બંને વાહનોની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 357 બોટલ અને ટીન મળી આવ્યા હતા, જેની કિંમત 1,01,671 રૂપિયા થાય છે. આ જથ્થામાં રોયલ સ્ટેગ, ઓફિસર્સ ચોઈસ, રોયલ ચેલેન્જ, મેકડોવેલ્સ નંબર 1 વ્હિસ્કી અને કિંગફિશર બીયરના ટીનનો સમાવેશ થાય છે. પોલીસે ઘટનાસ્થળેથી GJ.24.AU.4389 નંબરની બલેનો કાર અને GJ.24.AG.4383 નંબરનું એક્ટિવા કબજે કર્યું હતું. તપાસ દરમિયાન બલેનો ગાડીમાંથી મળેલી આરસી બુક મુજબ ગાડીના માલિક તરીકે ધર્મેન્દ્રકુમાર અમૃતલાલ પરમાર (રહે. પાટણ) નું નામ સામે આવ્યું છે. પોલીસે 1,01,671 રૂપિયાનો દારૂ, 5,00,000 રૂપિયાની બલેનો કાર અને 25,000 રૂપિયાનું એક્ટિવા મળી કુલ 6,26,671 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જે. કોડીયાતરે ફરિયાદ નોંધાવતા પાટણ શહેર એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 10:11 am

પાટણમાં મ્યુઝિક સિસ્ટમ બંધ કરાવતા વૃદ્ધ પર હુમલો:પડોશીઓએ પાઈપ-ધોકાથી માર માર્યો, 4 સામે ફરિયાદ

પાટણ શહેરના ખાલકપુરા વિસ્તારમાં મોટા અવાજે મ્યુઝિક સિસ્ટમ વગાડવાની ના પાડવા બદલ એક વૃદ્ધ પર પાઈપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ મામલે પાટણ સીટી એ ડિવિઝન પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પાટણ શહેરના ખાલકપુરા મદની ફ્લેટ પાસે રહેતા 62 વર્ષીય બેચરજી કાળુજી ઠાકોર જનતા હોસ્પિટલમાં વોર્ડબોય તરીકે ફરજ બજાવે છે. મકર સંક્રાંતિના દિવસે, 14 જાન્યુઆરી 2026ના રોજ બપોરે તેઓ પોતાના ઘરે હાજર હતા. તે સમયે તેમના પડોશમાં રહેતા ભત્રીજા વિજયજી દેવસંગજી ઠાકોર ધાબા પર મોટા અવાજે મ્યુઝિક સિસ્ટમ વગાડી પતંગ ચગાવી રહ્યા હતા. બેચરજીના પુત્રવધૂને થોડા દિવસો પહેલા જ પ્રસૂતિ થઈ હોવાથી, નવજાત બાળકની તબિયતને ધ્યાનમાં રાખીને તેમણે વિજયજીને સાઉન્ડ બંધ કરવાનું કહ્યું હતું. આ બાબતની અદાવત રાખીને વિજયજી પાઈપ લઈને આવ્યા અને બેચરજીના બરડાના ભાગે ફટકા માર્યા. આ દરમિયાન વિજયજીના પિતા દેવસંગજી કાળુજી ઠાકોરે પણ આવીને ગાળાગાળી કરી હતી. જ્યારે બેચરજીએ ગાળો બોલવાની ના પાડી, ત્યારે રમેશજી બાબુજી ઠાકોર અને આનંદજી રમેશજી ઠાકોર પણ ત્યાં ધસી આવ્યા હતા. રમેશજીએ તેના હાથમાં રહેલા ધોકા વડે બેચરજીના બરડા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ ચારેય શખ્સોએ ભેગા મળીને વૃદ્ધને નીચે પાડી દઈ ગડદાપાટુનો માર માર્યો હતો. વૃદ્ધની બૂમો સાંભળીને તેમના પત્ની બચીબેન અને પુત્રવધૂ મજુબેન દોડી આવ્યા હતા અને તેમને વધુ માર ખાતા બચાવ્યા હતા. હુમલો કરનાર શખ્સોએ જતી વખતે

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 10:07 am

પાટણમાં પતિના ત્રાસથી પિયર ગયેલી પત્નીને માર માર્યો:સાસરિયાઓએ ધોકા-ગડદાપાટુથી હુમલો કરી ધમકી આપી: 4 સામે ફરિયાદ

પાટણ શહેરમાં એક મહિલાએ તેના પતિ, સાસુ અને બે કાકા સસરા વિરુદ્ધ શારીરિક હિંસા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પતિના ત્રાસ અંગે સાસુને રજૂઆત કરતા સાસરિયાઓએ ઉશ્કેરાઈને લાકડાના ધોકા અને ગડદાપાટુ વડે માર માર્યો હતો. પાટણના વિછુખાડ શિવનગર સોસાયટીમાં રહેતી 27 વર્ષીય પાયલબેન પટણીએ આ ફરિયાદ નોંધાવી છે. તેમના લગ્ન સાત વર્ષ પહેલા કલ્પેશકુમાર સુરેશભાઈ પટણી સાથે થયા હતા. પતિના ત્રાસથી કંટાળીને પાયલબેન છેલ્લા બે દિવસથી પિયર ગયા હતા. 14 જાન્યુઆરી, 2026ના રોજ પતિ કલ્પેશકુમાર પત્નીના પિયર પહોંચ્યો હતો. પાયલબેને પતિને ત્યાંથી જતું રહેવા કહ્યું, પરંતુ તે ન માનતા, પાયલબેન તેમના માતા-પિતા સાથે કૃષ્ણનગર સોસાયટીમાં કાકા સસરાના ઘરે રજૂઆત કરવા ગયા હતા, જ્યાં તેમના સાસુ ગીતાબેન હાજર હતા. પાયલબેને સાસુને દીકરાને પિયર મોકલવા બાબતે પૂછતાં સાસુ ઉશ્કેરાઈ ગયા અને ગાળાગાળી કરવા લાગ્યા. આ દરમિયાન પતિ કલ્પેશકુમાર પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને 'મારી માતા સાથે કેમ બોલાચાલી કરે છે' તેમ કહી પત્ની પાયલબેનને જમણા હાથ પર લાકડાનો ધોકો ફટકારી ઇજા પહોંચાડી હતી. તેણે પત્નીને ગડદાપાટુનો માર પણ માર્યો હતો. પાયલબેનના માતા-પિતા તેમને છોડાવવા વચ્ચે પડતાં આરોપી પતિ કલ્પેશકુમાર, સાસુ ગીતાબેન અને કાકા સસરા સંજયભાઈ તથા મહેશભાઈ પટણીએ તેમના પર પણ હુમલો કરી માર માર્યો હતો. બૂમાબૂમ થતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા અને તેમને બચાવ્યા હતા. જતા સમયે આરોપીઓએ પાયલબેન અને તેમના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઇજાગ્રસ્ત પાયલબેને ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પાટણ સીટી એ ડિવિઝન પોલીસ મથકે ચારેય સાસરિયાઓ વિરુદ્ધ BNS અને GP એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 9:36 am

પાટણના અઘાર ગામે બે જૂથ વચ્ચે હુમલો:રસ્તા બાબતે લોહિયાળ જંગ: 14 સામે ફરિયાદ, ધારીયા-તલવારનો ઉપયોગ

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અઘાર ગામે જૂની અદાવત અને રસ્તા પર અવરજવરના સામાન્ય પ્રશ્ને બે પરિવારો વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી. આ ઘટનામાં બંને પક્ષે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતેથી સામસામે ફરિયાદો નોંધાવી હતી, જેના આધારે પોલીસે કુલ 14 વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રથમ ફરિયાદ અલ્પેશજી ઉર્ફે ટીનાજી વાઘેલાએ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે તેમના ભાઈની પત્ની સાથે સંબંધ રાખતા રજુજી ઠાકોરને રસ્તા પરથી નીકળવાની ના પાડવા બાબતે અગાઉ મનદુઃખ થયું હતું. આ અદાવતમાં પ્રવિણજી ઠાકોરે અલ્પેશજીના પિતાને લાકડી મારતા, તેમનો પરિવાર ઠપકો આપવા ગયો હતો. તે સમયે રસ્તામાં ભારતસંગ વદનજી ઠાકોર સહિત સાત વ્યક્તિઓએ ગેરકાયદેસર મંડળી રચી ધારીયા, લાકડી અને ખીલાસરી જેવા હથિયારોથી હુમલો કર્યો હતો. આ હુમલામાં અલ્પેશજીને માથામાં લાકડી અને હાથ-પગમાં ધારીયાના ઘા વાગતા ગંભીર ઈજાઓ થઈ હતી. સામા પક્ષે, ભારતસંગ વદનજી સોલંકીએ વળતી ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે તેમના ઘર પાસેના રસ્તા પરથી નીકળવા બાબતે પાડોશમાં રહેતા ચંદુજીના પરિવાર સાથે તકરાર થઈ હતી. આ દરમિયાન રામભા બબાજી, ભરતજી બાબાજી અને ટીનાજી ચંદુજી સહિત સાત વ્યક્તિઓ તલવાર અને લોખંડની ખીલાસરી જેવા તીક્ષ્ણ હથિયારો સાથે ભારતસંગના ઘરે ધસી આવ્યા હતા. હુમલાખોરોએ ભારતસંગ અને તેમના પુત્ર પ્રવિણજીના માથામાં તલવારના ઘા ઝીંક્યા હતા, જ્યારે અન્ય પુત્ર રજુજીને ખીલાસરી વડે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ સરસ્વતી પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 9:28 am

સુરતમાં ઉત્તરાયણની મોડી રાત્રે 4 દુકાનોમાં ભીષણ આગ:ટાયર અને રમકડાં સળગતા આગે વિકરાળ સ્વરૂપ લીધું, ફાયરની 15 ગાડીઓએ 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ઉત્તરાયણ (14 જાન્યુઆરી)ની મોડી રાત્રે એ.આર. મોલ પાસે આવેલા પતરાના શેડમાં ઓચિંતી આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ટાયરની દુકાન અને રમકડાની દુકાન સહિત કુલ 4 દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હતી. જોકે, આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાનમળતી માહિતી મુજબ મોટા વરાછા વિસ્તારમાં પતરાના શેડમાં કેટલીક દુકાનો બનાવવામાં આવી હતી. મોડી રાત્રે અહીં એકાએક આગ લાગી હતી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, ટાયરના ગોડાઉનમાં આગ લાગતા તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં બાજુમાં આવેલી રમકડાની દુકાન સહિત અન્ય ત્રણ દુકાનોમાં પણ આગ લાગી હતી. 10 ફાયર સ્ટેશનની 15 ગાડીઓ કામે લાગીઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ઓફિસર સિદ્ધાર્થ ગઢવીએ જણાવ્યું હતું કે, આગની ગંભીરતાને જોતા 10 અલગ અલગ ફાયર સ્ટેશનની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટાયર અને પ્લાસ્ટિકના રમકડાં હોવાથી ધુમાળાના ગોટેગોટ ઉઠ્યા હતા. જેના કારણે ફાયર જવાનોએ માસ્ક પહેરીને પાણીનો મારો ચલાવવો પડ્યો હતો. સાડા ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાંફાયર જવાનોની ભારે જહેમત બાદ અંદાજે સાડા ત્રણ કલાકે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો હતો. જોકે, ત્યાં સુધીમાં બે દુકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી અને અન્ય બે દુકાનોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. રાત્રિનો સમય હોવાથી દુકાનમાં કોઈ હાજર નહોતું. જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 9:12 am

હાજીપુર પાસે કારની ટક્કરે 11 વર્ષની બાળકીનું મોત:પૂરઝડપે આવતી કારે અડફેટે લીધી, ચાલક ફરાર

પાટણ તાલુકાના હાજીપુર ગામના બસ સ્ટેન્ડ નજીક એક માર્ગ અકસ્માતમાં 11 વર્ષની બાળકીનું મોત થયું છે. પૂરઝડપે આવી રહેલી હ્યુન્ડાઇ i10 કારના ચાલકે બાળકીને ટક્કર મારી હતી. અકસ્માત સર્જી કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે બાલીસણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૃતક બાળકીનું નામ સોનલબેન દિવાનજી ઠાકોર છે, જે હાજીપુર ખાતે હિના ગૃહ ઉદ્યોગના ગોડાઉન પર સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા દિવાનજી શિવાજી ઠાકોરની પુત્રી હતી. મૂળ રૂની ગામના વતની દિવાનજી ઠાકોરની પુત્રી સોનલબેન 14 જાન્યુઆરી 2026ના રોજ બપોરના સુમારે હાજીપુર બસ સ્ટેન્ડ પાસે રોડ ક્રોસ કરી રહી હતી. આ સમયે GJ-02-CL-8394 નંબરની હ્યુન્ડાઇ i10 કારના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી સોનલબેનને અડફેટે લીધી હતી. અકસ્માતનો અવાજ સાંભળી પિતા દિવાનજી અને અન્ય લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સોનલબેન ગંભીર ઈજાઓ સાથે બેભાન અવસ્થામાં મળી આવી હતી. ગંભીર રીતે ઘવાયેલી બાળકીને તાત્કાલિક ખાનગી વાહન દ્વારા ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબે તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે પિતા દિવાનજી ઠાકોરે બાલીસણા પોલીસ મથકે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S) ની કલમ 106(1), 281 અને મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી ફરાર કાર ચાલકને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શર્મિષ્ઠાબેન બળદેવભાઈ પટેલ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 9:03 am

ભાવનગર રેલવે: MG ટ્રેન સેવાઓમાં ફેરફાર, કેટલીક રદ:નવી સમયસૂચિ 19 જાન્યુઆરી 2026થી લાગુ પડશે

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળના મીટર ગેજ (MG) વિભાગમાં ટ્રેન સેવાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, અને કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. આ નિર્ણય 19 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ આ માહિતી આપી હતી. રદ કરવામાં આવેલી ટ્રેન સેવાઓમાં ટ્રેન નંબર 52951/52952 (જુનાગઢ – દેલવાડા – જુનાગઢ) અને ટ્રેન નંબર 52929/52930 (જુનાગઢ – વેરાવળ – જુનાગઢ)નો સમાવેશ થાય છે. ટ્રેન નંબર 52951/52952 (જુનાગઢ–દેલવાડા–જુનાગઢ) રદ થવાને કારણે, જેતલસરથી દેલવાડા જતા મુસાફરો માટે તલાલા સ્ટેશન પર વૈકલ્પિક કનેક્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંતર્ગત, ટ્રેન નંબર 52949/52950 (વેરાવળ–દેલવાડા–વેરાવળ) અને ટ્રેન નંબર 52946/52933 (જુનાગઢ–વેરાવળ–જુનાગઢ) વચ્ચે અધિકૃત જોડાણ આપવામાં આવ્યું છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી દ્વારા 19 જાન્યુઆરી 2026થી અમલમાં આવનારી સુધારેલી સમયસૂચિ જાહેર કરવામાં આવી છે. આ સુધારેલી સમયસૂચિ મુજબ, ટ્રેન 52949 વેરાવળથી 08:50 વાગ્યે ઉપડીને 12:30 વાગ્યે દેલવાડા પહોંચશે. ટ્રેન 52946 જુનાગઢથી 06:15 વાગ્યે ઉપડીને 10:40 વાગ્યે વેરાવળ પહોંચશે. ટ્રેન 52955 વેરાવળથી 06:15 વાગ્યે ઉપડીને 10:20 વાગ્યે જુનાગઢ પહોંચશે. વધુમાં, ટ્રેન 52933 વેરાવળથી 14:45 વાગ્યે ઉપડીને 18:55 વાગ્યે જુનાગઢ પહોંચશે. ટ્રેન 52956 જુનાગઢથી 20 જાન્યુઆરી 2026થી 08:00 વાગ્યે ઉપડીને 12:10 વાગ્યે વેરાવળ પહોંચશે. ટ્રેન 52950 દેલવાડાથી 13:00 વાગ્યે ઉપડીને 16:35 વાગ્યે વેરાવળ પહોંચશે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર દિનેશ વર્માના જણાવ્યા અનુસાર, સુધારેલી સમયસૂચિ સંબંધિત તમામ સ્ટેશનો પર પ્રદર્શિત કરવામાં આવી રહી છે અને રેલવેના અધિકૃત માધ્યમો દ્વારા તેનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે મુસાફરી કરતા પહેલા નવીનતમ સમયસૂચિની માહિતી અવશ્ય મેળવી લે.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 9:00 am

ઉપલેટા પ્રોહીબીશન કેસનો ફરાર આરોપી ઝડપાયો:કુતિયાણા પોલીસે ત્રણ મહિનાથી નાસતા આરોપીને દબોચ્યો

કુતિયાણા પોલીસે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશન કેસના ત્રણ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. અનિલ ઉર્ફે ભુરો નારણભાઈ હરણ નામનો આ આરોપી મૂળ બીલડી ગામનો રહેવાસી છે અને મજૂરી કામ કરે છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કુતિયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભરત ગોજીયા, અલ્તાબ સમા અને અશ્વિન વરુને સંયુક્ત બાતમી મળી હતી. આ બાતમીના આધારે કાર્યવાહી કરતા આરોપી કુતિયાણા ફોરેસ્ટ ઓફિસ પાસે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવ્યો હતો, જેને પોલીસે દબોચી લીધો હતો. આ આરોપી વિરુદ્ધ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધાયેલો છે. કુતિયાણા પોલીસે હાલ આરોપી વિરુદ્ધ નવો પ્રોહીબીશન ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, ઉપલેટા પોલીસ સ્ટેશનને પણ આ અંગે જાણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 8:55 am

અમદાવાદના યુવાનોએ ઉત્તરાયણમાં પક્ષીઓ માટે સેવા કરી:વિંગ્સ એન્ડ વિસ્કર્સ ફાઉન્ડેશને સંયમ, સહયોગનો સંદેશ આપ્યો

અમદાવાદના વિંગ્સ એન્ડ વિસ્કર્સ ફાઉન્ડેશનના યુવાનોએ ઉત્તરાયણ પર્વની અનોખી રીતે ઉજવણી કરી. પતંગ ઉડાડવાને બદલે, તેમણે સંયમ, સહયોગ અને સામૂહિકતાના સંદેશ સાથે અબોલ પશુ-પક્ષીઓની સેવા કરી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું. આ સેવાકાર્યમાં મેઘ પટેલ, નીલ પટેલ, જીવ પટેલ, માહી શાહ, રૂપી પટેલ, ઉમંગ પટેલ, અમી શ્રીમાળી, દર્શન આચાર્ય, ચિંતન પટેલ, રૂષભ સોની, મોના ભાવસાર અને દર્શન પટેલ સહિતના યુવાઓએ સહયોગ આપ્યો હતો. તેમણે પક્ષીઓના જીવન બચાવવા માટે સક્રિય યોગદાન આપ્યું. આ ઉપરાંત, સંસ્થા દ્વારા ગાયોને પણ દાન કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 8:47 am

‘ડમડમડમ ડમરૂ બાજે ભોલે કા…’:રૉક-જાઝ ફ્યૂઝન પર શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા, ચારણી સાહિત્યમાં શૂરવીરોના દૂહા ગુંજ્યા; સોમનાથ સ્વાભિમાન પર્વમાં 'અઘોરી' બૅન્ડની જમાવટ

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હાલ 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. આ મહોત્સવના ભાગરૂપે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રખ્યાત ‘અઘોરી’ બૅન્ડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી સંગીતસભર આરાધનાએ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પરંપરાગત ભજનો અને આધુનિક રૉક-જાઝ સંગીતના સમન્વયે સોમનાથના પરિસરમાં એક અનોખી આધ્યાત્મિક ઊર્જાનો સંચાર કર્યો હતો. શિવના 'અઘોર' સ્વરૂપની અનોખી આરાધનાભગવાન શિવનું પંચમુખી સ્વરૂપ પાંચ દિશા અને પંચતત્વનું પ્રતીક માનવામાં આવે છે. આ પૈકીનું ‘અઘોર’ સ્વરૂપ, જે અગ્નિતત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને સ્મશાનમાં વાસ કરનાર અઘોરી શિવ સાથે જોડાયેલું છે, તેનાથી પ્રેરિત થઈને ‘અઘોરી’ બૅન્ડ દ્વારા નટરાજની સંગીતસભર વંદના કરવામાં આવી હતી. આ પ્રસ્તુતિમાં પ્રાચીન ભક્તિ અને અર્વાચીન સંગીત શૈલીનો અદભુત સંગમ જોવા મળ્યો હતો. ભજન, લોકગીતો અને રૉક સંગીતની રમઝટકાર્યક્રમ દરમિયાન શ્રોતાઓ ભક્તિના રંગે રંગાયા હતા. બૅન્ડ દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ કૃતિઓએ વાતાવરણમાં જોશ ભરી દીધો હતો: શિવ વંદના: ‘ડમડમડમ ડમરૂ બાજે ભોલે કા…’ અને ‘શિવ તાંડવ સ્તોત્ર’ની રૉક સ્ટાઈલ પ્રસ્તુતિએ શ્રોતાઓમાં રોમાંચ જગાવ્યો હતો. લોકપ્રિય ગીતો: ‘ખોડલના ખમકારે…’, ‘સાયબો રે ગોવાળિયો…’, અને ‘દ્વારકાનો નાથ રાજા રણછોડ…’ જેવા ગીતો પર યુવાનો અને અબાલ-વૃદ્ધ સૌ ઝૂમી ઉઠ્યા હતા. કૃષ્ણ અને શક્તિ ભક્તિ: રાધા ગોવાલડી અને જગદંબા માતાની સ્તુતિઓ સાથે ગણપતિ અને નાગબાઈની વંદના પણ કરવામાં આવી હતી. શૌર્યરસ અને ચારણી સાહિત્યનું ગુંજનમાત્ર ભક્તિ જ નહીં, પણ સોમનાથના ગૌરવશાળી ઇતિહાસને પણ આ કાર્યક્રમમાં વણી લેવામાં આવ્યો હતો. સોમનાથની રક્ષા કાજે બલિદાન આપી પાળિયા બની પૂજાતા શૂરવીરોની ગાથા દૂહા-છંદ અને ચારણી સાહિત્ય દ્વારા રજૂ કરવામાં આવી હતી. ‘ધડ રે ધિંગાણે જેના…’ જેવી વીરરસની કૃતિઓએ સૌરાષ્ટ્રની શૌર્યગાથાને જીવંત કરી હતી. આધ્યાત્મિક ઊર્જાનો અદભુત માહોલઆધુનિક વાદ્યો અને રૉક-જાઝ ફ્યૂઝન સાથે જ્યારે પ્રાચીન મંત્રો અને ભજનો ગુંજ્યા, ત્યારે સમગ્ર સોમનાથ પરિસર ભક્તિમય બની ગયું હતું. પ્રવાસીઓએ આ પ્રસ્તુતિને હર્ષનાદ સાથે વધાવી લીધી હતી. ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ના માધ્યમથી નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા સાથે આધુનિક શૈલીમાં જોડવાનો આ પ્રયાસ અત્યંત સફળ રહ્યો હતો. જાણો રૉક-જાઝ ફ્યૂઝન એટલે શું?રૉક-જાઝ ફ્યૂઝન એટલે બે વિભિન્ન સંગીત શૈલીનું આધુનિક અને શક્તિશાળી સંયોજન. જેમાં નીચે મુજબના તત્ત્વોનો સુમેળ જોવા મળે છે: રૉક સંગીતની ઊર્જા: આ શૈલીમાંથી તીવ્રતા, પાવરફુલ ગિટાર રિફ્સ, ડ્રમ્સ અને મજબૂત બીટ્સ લેવામાં આવે છે. જાઝ સંગીતની સ્વતંત્રતા: આ શૈલીમાંથી તાલ-લયની જટિલતા અને 'ઈમ્પ્રોવાઈઝેશન' (કલાકારની પોતાની કલ્પના મુજબ ત્વરિત રજૂઆત કરવાની સ્વતંત્રતા) લેવામાં આવે છે. મુખ્ય વિશેષતા: આમાં સંગીત કોઈ નિશ્ચિત માળખામાં બંધાયેલું રહેવાને બદલે કલાકારની સર્જનાત્મકતા મુજબ વિસ્તરે છે. લોકપ્રિયતા: આધુનિક વાદ્યો અને પરંપરાગત લયના સંગમને કારણે તે ખાસ કરીને યુવા પેઢીમાં લોકપ્રિય છે. ટૂંકમાં કહીએ તો, રૉક સંગીતની ગતિશીલતા અને જાઝ સંગીતની લયાત્મક વિવિધતાને એકતાંતણે બાંધતી આધુનિક સંગીત કલા એટલે રૉક-જાઝ ફ્યૂઝન.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 8:17 am

હું ડેટિંગ જ ના કરું, VIDEO:ડિજિટલ ડેટિંગ કે પછી ટ્રેડિશનલ ડેટિંગ? અમદાવાદી ગર્લ્સ-બોય્ઝ જવાબમાં તો ખેલ કરી ગયા

પહેલાના સમયમાં છોકરા-છોકરીઓ રૂબરૂ મળતા અને એકબીજાને ઓળખતા હતા, પરંતુ આજના ટેકનોલોજીના યુગમાં યુવાનોને ઓનલાઈન ડેટિંગનું ઘેલું લાગ્યું છે. ટીન્ડર અને બમ્બલ જેવી ડેટિંગ એપ્લિકેશનો ઉપયોગ કરી છોકરા-છોકરીઓ એકબીજાને ઓનલાઈન ડેટ્સ પણ કરતા હોય છે, ત્યારે એકબીજાને રૂબરૂ મળી ટ્રેડિશનલ ડેટ્સ કે પછી એપ્લિકેશનના માધ્યમથી એકબીજાને ડિજિટલ ડેટ્સ કરવા અંગે લોકોનો અભિપ્રાય જાણ્યો હતો. ટ્રેડિશનલ ડેટિંગ કે ડિજિટલ ડેટિંગને લઈ દિવ્ય ભાસ્કરે અમદાવાદી યુવક-યુવતીઓને સવાલો કર્યા. જેમાં તેઓએ જવાબ આપવામાં મૂંઝાયા હતા અને ડેટિંગ કરતા લગ્ન જ કરી લેવાય, હું તો ના જ કરું સહિતના જવાબો આપ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 7:00 am

વાસી ઉતરાયણે પતંગબાજોનો ઉત્સાહ બમણો:વહેલી સવારથી જ પેચ લડાવવા ધાબા પર ચડ્યા, બાળકો-યુવાનો ફિરકી લઈને પતંગ ચગાવવામાં વ્યસ્ત

ગઈકાલે (14 જાન્યુઆરી,2026) મકરસંક્રાંતિના પર્વને મનભરીને માણ્યા બાદ, આજે 15 જાન્યુઆરીએ ગુજરાતીઓએ ઉત્તરાયણના 'સેકન્ડ રાઉન્ડ' માટે પૂરેપૂરો જોશ બતાવ્યો છે. સવારથી જ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના મુખ્ય શહેરોમાં ધાબાઓ પર પતંગબાજો ચડી ગયા છે અને આકાશ ફરી એક વખત રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું છે. આજે સવારથી જ 'કાઈપો છે'ની બૂમો ફરી ગુંજી ઉઠી ગઈકાલના ધમાકેદાર ઉત્સવ અને આતશબાજી-ગરબાના આરામ બાદ આજે સવારથી જ 'કાઈપો છે'ની બૂમો ફરી ગુંજી ઉઠી છે. લોકો પતંગ ચગાવવાની સાથે ધાબા પર જ ઊંધિયું, ફાફડા-જલેબીની સ્વાદિષ્ટ જિયાફત માણી રહ્યા છે. ઘણી જગ્યાએ ફિલ્મી ગીતો અને DJના તાલે ગરબા-ડાન્સની રમઝટ પણ જામી ગઈ છે, જાણે ઉત્તરાયણનો ઉત્સાહ બીજા દિવસે પણ નવી ઊર્જાથી ફરી વળ્યો હોય. ઊંધિયુની પાર્ટી કરીને તહેવારનો આનંદ બમણો કર્યો અમદાવાદના વાસણા, નવરંગપુરા, મણિનગર અને સુરતના વરાછા, અડાજણ તેમજ વડોદરાના અલકાપુરી, ફતેહગંજ જેવા વિસ્તારોમાં સવારથી જ પતંગોની ઉડાન જોવા મળી રહી છે. બાળકો અને યુવાનો બંને હાથમાં ફિરકી લઈને પતંગ ચગાવવામાં વ્યસ્ત જોવા મળ્યા છે. આજે પણ ઘણા પરિવારો અને મિત્રમંડળોએ ધાબા પર જ ઊંધિયુની પાર્ટી કરીને તહેવારનો આનંદ બમણો કર્યો છે.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 7:00 am

વોલ્ટ ડિઝનીનું ડિઝનીલેન્ડ: તુ કમાલ, તેરી સલ્તનત કમાલ:બાળકો જ નહીં, મોટેરાઓની દુનિયા પણ વધુ રસપ્રદ બનાવી દીધી

કોઇ જગ્યાએ વાંચ્યું હતું કે કોઇ નાની બાળકીને એમ નહીં કહેવાનું કે હકીકતની દુનિયામાં પરી જેવું કોઇ પાત્ર અસ્તિત્વ ધરાવતું નથી કારણ કે પપ્પાની પરી એવી બાળકીઓને એ કેરેક્ટર એક આશા આપતું હોય છે કે દુનિયા સારી પણ હોઇ શકે. ફક્ત દુનિયાભરની બાળકીઓ જ નહીં પણ બાળકો જે પરીકથાઓ, એમાં આવતા રાજકુમાર, રાજકુમારી, સુંદર કિલ્લાઓ, વસ્ત્રોની વાર્તા ઓ સાંભળીને મોટા થયા છે, એ બાળકોને ક્યારેક એ પરીકથાઓમાં આવતી જિંદગી જીવીશું એ વાત બહુ મોટું આશ્વાસન અને સારું કામ કરવાની પ્રેરણા આપે છે. પરીકથાઓ સાંભળીને મોટું થયેલું બાળક વિજ્ઞાન અને સંશોધનો કહે છે એમ બહેતર કલ્પના શક્તિ ધરાવે છે અને આ વાત બાળકના માનસિક વિકાસ માટે ખૂબ અગત્યની છે. આ વાત દુનિયાભરના બાળકોના દાદા એવા વોલ્ટ ડિઝનીથી વધારે સારી રીતે કોણ સમજી શક્યું હશે? વિશ્વભરના બાળકોનું બાળપણ વધુ સુંદર બનાવનાર અજરાઅમર ડિઝની કેરેક્ટર મિકી માઉસના સર્જક વોલ્ટ ડિઝની બાળકો માટે આ બધા પાત્રો અને ડિઝની લેન્ડ થીમ પાર્ક બનાવીને બાળકો જ નહીં પણ મોટેરાઓની દુનિયા પણ વધુ રસપ્રદ બનાવી ગયા છે. પાર્કની મુલાકાત દરમિયાન વિચાર આવ્યોઆ સ્વપ્ન સૃષ્ટિ રચવાનો વિચાર, વોલ્ટ ડિઝની તેની પુત્રીઓ ડાયેન અને શેરોન સાથે લોસ એન્જલસમાં ગ્રિફિથ પાર્કની મુલાકાત લઇ રહ્યા હતા. ત્યાં તેમને ચગડોળ ચલાવતા જોતા આવ્યો જ્યાં પુખ્ત વયના લોકો અને તેમના બાળકો સાથે જઇ શકે અને મજા કરી શકે. ડિઝાઇનર્સે વોલ્ટના સપનાને સાકાર કરવા કામ શરૂ કર્યુંઅને વોલ્ટ ડિઝની જેનું નામ, જે એક વખત કોઇ સપનું જોવે પછી એને પૂરું કરવા લગનથી મંડી જ પડે એમણે શરૂઆતમાં મિકી માઉસ પાર્ક, મૂળ રીતે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના મહાનગર લોસ એન્જલસમાં સોળ એકરનાં વિસ્તારમાં બનાવવાનું નક્કી કર્યું અને તેમના ડિઝાઇનરોએ વોલ્ટના સપનાને સાકાર કરવા પર કામ કરવાનું શરૂ કર્યું. જોકે વોલ્ટનો આ પ્રોજેક્ટ ધાર્યા કરતાં ઘણી વધુ જમીન અને ભવિષ્યમાં વસતિ વધે તો એને પહોંચી વળવા એ બધા પાયાના પ્રશ્નો પર વિચાર કરતાં ઘણો મોટો થયો. ભવિષ્યની વસતિ વૃદ્ધિના આધારે આયોજિત થીમ પાર્ક ક્યાં સ્થિત કરવો તે નક્કી કરવા ડિઝનીએ સ્ટેનફોર્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સી. વી. વૂડ અને હેરિસન પ્રાઇસને બાકાયદા કન્સલ્ટિંગ કરવા રાખ્યા. 160 એકરના બગીચા ખરીદ્યાપ્રાઇસના વિશ્લેષણના આધારે ડિઝનીએ લોસ એન્જલસમાં ઓરેન્જ કાઉન્ટીમાં આવેલા એનાહાઇમ નામના વિસ્તારમાં 160 એકર નારંગીના બગીચા અને અખરોટના જંગલો ખરીદ્યા અને ત્યાર પછી એમણે ત્યાં જે માયાવી સૃષ્ટિ સર્જી એણે દુનિયાભરના બિઝનેસ, મનોરંજન, સર્જનાત્મકતા અને વધારે અગત્યની વાત માણસના બે હાથ, દિમાગ અને હૃદય શું કરી શકે એના સમીકરણો બદલી નાખ્યા. વર્ષે 16 મિલિયન લોકો જે ડિઝનીલેન્ડની મુલાકાત લે છે એ વોલ્ટના આ વિશાળ પ્રોજેક્ટમાં એમના ભાઇ રોય ડિઝની, સી.વી વૂડ, હેરી પ્રાઇસ અને વોલ્ટના અવનવા આઇડિયાને વાસ્તવિક્તામાં બદલવામાં ટેક્નિકલી અગત્યનો ભાગ ભજવનાર જો ફોવલરનો સાથ મળ્યો. ઓપનિંગમાં 28 હજાર લોકો આવ્યાએક ડોલરની પ્રવેશ ફી સાથે વોલ્ટ ભાઇઓએ ડિઝનીલેન્ડ પાર્કની પ્રથમ ટિકિટ ખરીદી ને ડિઝનીલેન્ડ રવિવાર, 17 જુલાઇ, 1955ના રોજ પબ્લિક માટે ખુલ્લું મૂક્યું અને 28 હજાર લોકોએ ઓપનિંગ દિવસે મુલાકાત લીધી. 18 અલગ અલગ આકર્ષણો સાથે શરૂ થનાર ડિઝનીલેન્ડ અત્યારે 51 આકર્ષણો જેમ કે સ્પ્લેશ માઉન્ટેઇન, સ્પેસ માઉન્ટેન, પાઇરેટ્સ ઓફ કેરેબિયન, ઇન્ડિયાના જોન્સ એડવેન્ચર, મોનો રેલ, માર્ક ટ્વેઇન રિવર બોટ, હોન્ટેડ મેન્શન, જંગલ ક્રૂઝ, બાળકીઓનું પ્રિય, એલિસ ઇન વન્ડરલેન્ડ, સ્ટાર વોર્સ ગેલેક્સી, પીટર પેન ફ્લાઇટ અને મિકી એન્ડ મિનિટ્સ રન વે રેલ વે વગેરે સાથે અત્યારે દુનિયાભરમાં સૌથી લોકપ્રિય વેકેશન સ્થાન બની ગયું છે. ડિઝનીલેન્ડ ખૂલ્યું ત્યારથી અત્યાર સુધી વોલ્ટ ડિઝનીના પર્યાય બની ચૂકેલા બાળકોના અતિપ્રિય કેરેક્ટર મિકી માઉસના 84 મિલિયન કાન આકારના સોવેનિયર વેચનાર આ માયાવી સૃષ્ટિ, ડિઝની પાર્ક, ડિઝની ક્રૂઝ, ડિઝની રિસોર્ટ, ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડ સ્પા જેવા બીજા અનેક ધંધાકીય આકર્ષણો દ્વારા અમેરિકન ઇકોનોમીમાં પણ બહુ મોટો ફાળો આપે છે. સ્ટાર વોર્સ અને ઇન્ડિયાના જોન્સ ફ્રેન્ચાઇઝીના ક્રિએટર જ્યોર્જ લુકાસ જેમણે 11 વર્ષની ઉંમરે ડિઝનીલેન્ડ ની મુલાકાત લીધી અને એમના આ સર્જનના બીજ રોપવામાં અને દુનિયાભરના બાળકોની જિંદગીને થોડી વધુ બહેતર બનાવવામાં ડિઝનીલેન્ડનો અને ધ વોલ્ટ ડિઝનીનો ફાળો એનું ઋણ ના ચૂકવી શકાય એટલો મોટો છે.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 6:30 am

અમદાવાદના પ્રીમિયમ એરિયા કયા? 2BHK ફ્લેટ કેમ નથી બનતા?:17 વર્ષની ઉંમરે નાનકડી દુકાનથી શરૂઆત, એક પણ પૈસાના રોકાણ વગર ઊભું કર્યું ‘શિલ્પ એમ્પાયર’

અમદાવાદ દિવસે ને દિવસે વિકસી રહ્યું છે. જ્યાં નજર કરો ત્યાં તમને એકથી ચઢિયાતી એક ઊંચી ઊંચી બિલ્ડિંગ્સ જોવા મળે છે. એમાંય જ્યારે અમદાવાદના સિંધુ ભવન કે પછી વૈષ્ણોદેવી જઈએ ત્યારે એક નામ અચૂકથી નજરે આવે છે અને તે છે ‘શિલ્પ’. શિલ્પની શરૂઆત કેવી રીતે થઈ ને તેના ફાઉન્ડર યશ બ્રહ્મભટ્ટે અત્યાર સુધી કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો તે વાત ભાગ્યે જ કોઈ જાણતું હશે. દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘સ્કાયલાઇનર્સ'ના આજના એપિસોડમાં વાંચીશું, અમદાવાદમાં પોતાનું એમ્પાયર ઊભું કરનારા શિલ્પ ગ્રૂપ અંગે. 'મિડલ ક્લાસ પરિવારમાં જન્મ'વાતની શરૂઆત કરતાં જ યશ બ્રહ્મભટ્ટ કહે છે, 'અમારો પરિવાર મધ્યમ વર્ગીય હતો. પેરેન્ટ્સ ને છ ભાઈ-બહેનો છે. પપ્પા જૉબ કરતા અને મમ્મી હોમ મેકર છે. આઠ લોકોનો પરિવાર બે બેડરૂમના મકાનમાં રહેતો. અમે ગાંધીનગરમાં જ રહેતા. બાર ધોરણ બાદ હું અમદાવાદ શિફ્ટ થઈ ગયો.' 'મમ્મી ને મોટી બહેને બિઝનેસમાં જોડાવવાની વાત કરી'બારમા ધોરણ પછીની જર્ની અંગે યશ બ્રહ્મભટ્ટ કહે છે, 'હું તો અમદાવાદ આવી ગયો. સાચું કહું તો બાર ધોરણ પછી મેં ભણવાનું અલમોસ્ટ છોડી દીધું હતું અને ફુલ ટાઇમ બિઝનેસ પર જ ધ્યાન આપતો. હવે 17-18 વર્ષનો છોકરો બિઝનેસમાં કેવી રીતે આવે તે વાત પણ મજા પડે એવી છે. બાર સાયન્સની બોર્ડ એક્ઝામ પછી વેકેશન હતું. પછી રિઝલ્ટ આવ્યું ને મારા માર્ક્સ ઓછા હતા તો મને એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું નહીં. આ દરમિયાન મારા કાકા તથા ભાઈના ફ્રેન્ડની એક દુકાન હતી. આ દુકાનમાં એક પાર્ટનરને નોમિનલ પાર્ટનરશિપમાંથી અલગ થવું હતું. તેમનો હિસ્સો માંડ 20-25% જેવો હતો. હવે એવું થયું કે આ વાત મારા ઘરમાં પણ ખબર પડી કે આ રીતે દુકાનમાંથી એક ભાગીદાર છૂટો થાય છે. ઘરમાં મોટી બહેન ને મમ્મીએ મને સીધું જ પૂછ્યું કે જો તારા મનમાં ભણીને પણ બિઝનેસ જ કરવાની ઈચ્છા હોય તો અત્યારે જ જોડાઈ જા. બિઝનેસની ઈચ્છા ક્યાંક હોય તો આ અંગે ગંભીરતાથી તારે વિચારવું જોઈએ. મને આજે પણ યાદ છે કે મેં અઠવાડિયા સુધી આ અંગે વિચાર કર્યો હતો. અંતે, નક્કી કર્યું કે ભણવાનું સાઇડમાં કરીશું ને હવે તો ફુલ ટાઇમ દુકાનમાં જ કામ કરીશ. રોજ સવારે નવ વાગ્યે દુકાને જતો ને સાંજે આઠ વાગ્યા સુધી કામ કરતો. આ દુકાન બિલ્ડિંગ મટિરિયલ સપ્લાય કરતી. અમદાવાદના ડ્રાઇવ ઇન રોડ પર 10*20 ફૂટની સાવ નાનકડી દુકાનથી મારી કરિયરની શરૂઆત કરી હતી.' 'બેકઅપ ને સપોર્ટ વગર બિઝનેસ શરૂ કર્યો''તમને નવાઈ લાગશે કે મારા પરિવારમાંથી કોઈએ આ પહેલાં ક્યારેય કોઈ બિઝનેસ કર્યો નહોતો. પરિવારમાં મેં જ બિઝનેસની કોઈ પણ જાતના બેકઅપ કે સપોર્ટ વગર શરૂઆત કરી. દુકાનની સાથે સાથે પછી તો મેં ટાઇમ મળે ત્યારે ભણતો ને એ રીતે ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું.' 'છ-સાત વર્ષ દુકાનમાં બેઠો, 2003-04માં રિયલ એસ્ટેટમાં આવ્યો'વધુમાં યશ બ્રહ્મભટ્ટ કહે છે, 'આ રીતે હું છથી સાત વર્ષ દુકાનમાં બેઠો ને બિઝનેસની આંટીઘૂંટીઓ સમજતો થયો. આટલા વર્ષોમાં હું મારી રીતે પૈસા ભેગા કરતો હતો. આ દરમિયાન 2003-2004માં રિયલ એસ્ટેટમાં ઝંપલાવવાનું નક્કી કર્યું. હું જે દુકાનમાં બેસતો તેનું નામ ‘શિલ્પ’ હતું એટલે પછી મેં મારા રિયલ એસ્ટેટ વેન્ચરને ‘શિલ્પ’ જ નામ આપ્યું. એ સમયે ઔડાએ પ્લોટ ઓક્શન (હરાજી) માટે મૂક્યો હતો અને મને પણ એક નાનકડો પ્લોટ જાન્યુઆરી, 2004માં મળ્યો. જોધપુર ચાર રસ્તા આગળ મેં મારો પહેલો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. મારા આ પ્રોજેક્ટને ઘણો જ સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ જ કારણે તે જ વર્ષે બીજો પ્રોજેક્ટ લૉન્ચ કર્યો હતો.ત્યારથી શરૂ કરેલી આ સફરમાં અત્યાર સુધી 55થી વધુ પ્રોજેક્ટ્સ બનાવ્યા. સામાન્ય રીતે અમે વર્ષમાં બેથી ત્રણ પ્રોજેક્ટ્સ પૂરા કરીએ છીએ. મારો આ પ્રોજેક્ટ ભૂકંપ પછીનો હતો. ભૂકંપના થોડા સમય બાદ રિયલ એસ્ટેટમાં તેજીની શરૂઆત થઈ હતી. સદનસીબે હું એ જ ટાઇમે આ ફિલ્ડમાં એન્ટર થયો. આ સમયગાળામાં રિયલ એસ્ટેટનો ગોલ્ડન પીરિયડ પણ શરૂ થયો.' 'ભૂકંપ બાદ નિયમો બદલાયા''ભૂકંપ બાદ કન્સ્ટ્રક્શનના નિયમો ધરમૂળથી બદલાઈ ગયા હતા. સ્ટ્રક્ચરલ ડિઝાઇનમાં ઘણું જ પરિવર્તન આવ્યું હતું. નિયમ પાલનમાં સરકાર પણ સ્ટ્રિક્ટ થઈ. મેં જાન્યુઆરી, 2004માં પ્રોજેક્ટ શરૂ કર્યો હતો એટલે ભૂકંપનાં ત્રણ વર્ષ થઈ ગયાં હતાં અને લોકો પણ આ ડરના માહોલમાંથી અલમોસ્ટ બહાર આવી ગયા હતા. જોકે, એ વાત પણ એટલી જ સાચી છે કે તે સમયે લૉ રાઇઝ બિલ્ડિંગ વધારે ચાલતી. હાલમાં તો સ્કાયલાઇન ને હાઇ રાઇઝ બિલ્ડિંગનું ચલણ છે.' 'ગિફ્ટ સિટીમાં મોટાભાગના પ્રોજેક્ટ'યશ બ્રહ્મભટ્ટ પોતાના હાલના પ્રોજેક્ટ અંગે વાત કરતાં કહે છે, 'શિલ્પ ગ્રૂપના 11 પ્રોજેક્ટ્સ અને 10 મિલિયન સ્ક્વેર ફૂટ ઓન ગોઇંગ છે. આ 11 પ્રોજેક્ટ્સમાંથી 6 કર્મશિયલ તથા 7 રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે. આ ઉપરાંત બે પ્લોટિંગના પ્રોજેક્ટ પર પણ કામ કરી રહ્યા છીએ, જેમાં એક ઇન્ડસ્ટ્રિયલ તથા એક રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે. 11માંથી મોટા ભાગના પ્રોજેક્ટ ગિફ્ટ સિટીમાં છે. અત્યારે મારો 50% પોર્ટફોલિયો ગિફ્ટ સિટીમાં છે. આ ઉપરાંત તાજેતરમાં જ અદાણી શાંતિગ્રામની સામે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો છે. એક પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે અને તે ગિફ્ટ સિટીમાં જ છે.' 'રિયલ એસ્ટેટમાં આગામી ત્રણ વર્ષમાં શું થશે તેનો ખ્યાલ આવવો જરૂરી''ગિફ્ટ સિટી અપકમિંગ એરિયા છે. મેં કામની શરૂઆત કરી ત્યારથી જ હંમેશાં અપકમિંગ એરિયામાં જ પ્રોજેક્ટ બનાવ્યા છે. અપકમિંગ એરિયા એટલે કે ડેવલપ એરિયાની નજીક આવેલો વિસ્તાર. સિંધુ ભવનમાં મારા અંદાજે 11 પ્રોજેક્ટ છે. તમને નવાઈ લાગશે પણ સિંધુભવન પર સૌ પહેલો પ્રોજેક્ટ મેં જ લૉન્ચ કર્યો હતો. એક સમયે તો આખા સિંધુ ભવનમાં 50% પ્રોજેક્ટ્સ મારા જ હતા. એ વખતે જજીસ બંગલો ડેવલપ્ડ એરિયા હતો અને સિંધુભવન હજી ડેવલપ થઈ રહ્યો હતો. પછી શીલજમાં ત્રણેક પ્રોજેક્ટ્સ હતા. આ એરિયા પણ ડેવલપ થતો હતો ત્યારે જ આ લોન્ચ કર્યા. વૈષ્ણોદેવી હવે ડેવલપ થયું. આજથી બે વર્ષ પહેલાં અપકમિંગ ડેવલપ્ડ એરિયામાં ગણના થતી. ગિફ્ટ સિટી પણ અપકમિંગ એરિયા છે. 2021-22થી હું એન્ટર થયો. આજે જેટલી ડિમાન્ડ છે, તેટલી આ પહેલાં નહોતી. મારા મતે, રિયલ એસ્ટેટમાં કામ કરતી વ્યક્તિ પાસે એ વિઝન હોવું જોઈએ કે ફ્યૂચરનાં ત્રણ વર્ષમાં કયો એરિયા કેવો ચાલવાનો છે? આ આઇડિયા આવી જાય પછી અમે એ એરિયામાં અમે એન્ટર થઈએ.' 'ગિફ્ટ સિટીમાં દુબઈ-સિંગાપોર જેવી સ્કાય લાઇન જોવા મળશે'યશ બ્રહ્મભટ્ટે ગિફ્ટ સિટી અંગે વાત ડિટેલમાં વાત કરતાં કહ્યું, આ પ્રોજેક્ટ ગુજરાતમાં 2008માં લૉન્ચ થયો. 2014માં ગુજરાતના મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન બન્યા. તેમનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. કોઈ પણ એરિયાનો બેઝ બનતાં આઠથી દસ વર્ષનો સમય લાગે છે. ગિફ્ટ સિટી પ્રોજેક્ટની ફ્લાઇટ ટેક ઑફ થઈ ગઈ છે. 2030માં ત્યાં અલમોસ્ટ 80 જેટલી બિલ્ડિંગ્સ તૈયાર થઈ ગઈ હશે. અત્યારે 20-25 બિલ્ડિંગ બની ગઈ છે. 2030માં ત્યાં દોઢેક લાખ લોકો કામ કરતા હશે. ગિફ્ટ સિટીમાં બે ઝોન છે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) તથા ડોમેસ્ટિક. SEZમાં દસ વર્ષ ટેક્સ ફ્રી બેનિફિટ છે. આટલું જ નહીં એલિજિબલ સર્વિસમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ત્રણથી ચાર સર્વિસ એડ કરવામાં આવી છે. ગિફ્ટ સિટીમાં ઘણા લોકો આવી રહ્યા છે. SEZ એરિયામાં હાલમાં રેડી બિલ્ડિંગ માત્ર પાંચથી છ છે. બીજા અન્ડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ આઠથી દસ છે. કંટ્રોલ્ડ સપ્લાય છે. ત્યાં કોઈ પણ વ્યક્તિ પ્લોટ લઈને સ્કીમ મૂકી શકતું નથી. ઓક્શનમાં એલિજિબલ થવું જરૂરી છે અને એલિજિબલ થવા માટે ચોક્કસ સ્ક્વેર ફૂટનું કામ તથા ચોક્કસ હાઇટની બિલ્ડિંગ બનાવેલી હોય તે જરૂરી છે. ગિફ્ટ સિટીમાં તમે ગમે તેમ કન્સ્ટ્રક્શનનું કામ કરી શકતા નથી. ચોક્કસ ગાઇડલાઇન પ્રમાણે કામ કરવામાં આવે છે. ત્યાં બધાં જ હાઇ રાઇઝ બિલ્ડિંગ છે અને તેની એક આખી સ્કાય લાઇન બની રહી છે. અત્યાર સુધી આપણે દુબઈ-સિંગાપોરની સ્કાય લાઇન જોઈને ખુશ થતા હતા પણ હવે ગિફ્ટ સિટીમાં આપણને આપણી પોતાની આ સ્કાય લાઇન જોવા મળશે તે નક્કી છે.' 'રિયલ એસ્ટેટની માહિતી રિસર્ચ ટીમ પાસેથી લેવાની જરૂર નથી'યશ બ્રહ્મભટ્ટને પૂછવામાં આવ્યું કે કેવી રીતે ખબર પડે કે ત્રણ વર્ષમાં કયો એરિયા ડેવલપ થશે કે નહીં? તેમણે ઘણી જ સહજતા સાથે જવાબ આપ્યો, ‘વિઝનની વાત કરું તો આ એક ઓટોમેટિક પ્રોસેસ છે. તેના માટે કોઈ રિસર્ચ ટીમ કે રિસર્ચ ફર્મ પાસેથી ફીડબેક લેવાની જરૂર નથી. હાલમાં તો મારું બધું જ ફોકસ રિયલ એસ્ટેટમાં છે અને આટલાં વર્ષના અનુભવ પરથી હું એટલું તો ચોક્કસથી કહી શકું કે એ ઓટોમેટિક મારી થોટ પ્રોસેસમાં આવી જાય કે હવે શું થશે, હવે કયો એરિયા ચાલશે, લોકોની ડિમાન્ડ શું છે, કઈ સાઇઝમાં ઘર ગમે છે, કેવું પ્લાનિંગ ગમે છે, કયા સેગમેન્ટમાં ઓવર સપ્લાય છે. મલ્ટિપલ રિઝનથી આ બધી જાણ થાય છે.’ 'રિયલ એસ્ટેટમાં હાઇટેક ટેક્નોલોજીનો ઉપયોગ વધ્યો'રિયલ એસ્ટેટમાં આવેલા ફેરફાર અંગે યશ બ્રહ્મભટ્ટે જણાવ્યું, 'છેલ્લા કેટલાય સમયથી ઘણા ફેરફારો આવ્યા છે. શરૂઆતમાં જ્યારે કામ કરવાની શરૂઆત કરી ત્યારે મેં તો જસ્ટ સ્ટાર્ટ કર્યું હતું એટલે પ્રોજેક્ટ વોલ્યુમ નાનું હતું. અલબત્ત, ત્યારે બીજા ડેવલપરના વોલ્યુમ પણ નાનાં હતાં. 50 હજારથી દોઢ લાખ સ્ક્વેર ફૂટમાં બિલ્ડિંગ બનતાં. તે સમયે ટ્રેડિશનલ વેમાં કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી ચાલતી. અત્યારે હાઇટેક લેવલની ટેક્નોલોજીથી પ્લાનિંગ થાય છે. મશીનરીથી લઈને બધું જ બદલાયું છે. કન્સ્ટ્રક્શનમાં પ્રિકાસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. દસ વર્ષમાં મોટાભાગની બિલ્ડિંગ પ્રિકાસ્ટમાં ઊભી થયેલી હશે. એ વખતે બિલ્ડિંગ લો રાઇઝ બનતા ને હાલમાં હાઇ રાઇઝનો ટ્રેન્ડ વધારે છે. ક્વૉલિટીમાં માત્ર કસ્ટમર જ નહીં, ડેવલપરમાં પણ અવેરનેસ આવી છે. પહેલાં લોકો એવું વિચારતા કે 3 બેડરૂમનો ફ્લેટ ₹10 કે ₹15 લાખમાં આવે છે તો લઈ લઈએ. હવે ડેવલપર શું શું આપે છે તે તમામ બાબતો પર ધ્યાન આપવામાં આવે છે. ફ્લોરિંગ, ફિટિંગ્સ, એમિનિટિઝ, પ્લાનિંગ, ડિઝાઇનિંગ સહિતની બાબતો અંગે ડિટેલ્ડ સવાલો થાય છે. પહેલા લોકોમાં આટલું ફોકસ નહોતું. લોકો બજેટને આધારે નક્કી કરતા કે આટલા રૂપિયામાં કેટલા બેડરૂમનો ફ્લેટ મળે?' 'જે ઇન્ડસ્ટ્રી પર રેગ્યુલેશન આવ્યું, તે પછીથી ગ્રો થઈ'યશ બ્રહ્મભટ્ટ માને છે, 'આ ફિલ્ડમાં રોજેરોજ અવનવા અનુભવો થતા હોય છે. કોરોનામાં અચાનક બંધ થઈ ગયું ત્યારે ફ્યૂચરમાં બિઝનેસનું શું થશે તે વિચારો આવતા. અલબત્ત, મારું ઓબ્ઝર્વેશન છે કે કોઈ પણ વસ્તુ પર રિસ્ટ્રિક્શન આવે પછી રિયલ એસ્ટેટ અચૂકથી બૂમ કરે છે. અર્થક્વેક પછી લોકોને લાગતું કે હવે તો બિલ્ડિંગ બનશે જ નહીં પણ 2 વર્ષ પછી જ તેજીનો ટંકાર વાગ્યો અને તે હજી સુધી ચાલુ છે. GST આવ્યું ત્યારે પણ થોડી ઘણી મુશ્કેલી પડી હતી, RERA (રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ, 2016) આવ્યું ત્યારે પણ એવું હતું કે હવે બિલ્ડર વ્યવસ્થિત રીતે કામ નહીં કરી શકે, કારણ કે બહુ બધાં રિસ્ટ્રિક્શન છે. મારું તો સ્પષ્ટ માનવું છે કે જે પણ ઇન્ડસ્ટ્રી પર રેગ્યુલેશન મૂક્યાં છે તે પાછળથી ગ્રો થઈ જ છે. રેરા આવ્યા પછી રિયલ એસ્ટેટને ઘણો જ ફાયદો થયો છે. ટ્રસ્ટ ને ટ્રાન્સપરન્સી વધી ગઈ. લોકો પહેલાં વિચારતા કે ડેવલપર પર વિશ્વાસ કરવો કે નહીં? હવે તો એટલો વિશ્વાસ છે કે ડેવલપરની ઉપર એક ઓથોરિટી છે. આપણે જે પૈસા આપ્યા છે, તે બિલ્ડિંગમાં જ યુઝ થાય છે. ક્વોલિટીથી લઈને કમિટમેન્ટ સહિતનાં તમામ કામ સમયસર પૂર્ણ થાય છે. ઉપરથી રેરાને કારણે વિશ્વાસ વધ્યો છે. NRI એનઆરઆઇ ને આઉટ સ્ટેટનાં ઇન્વેસ્ટમેન્ટ વધ્યાં છે. હું દરેક પરિસ્થિતિમાં હંમેશાં પોઝિટિવ રહ્યો છું. કોઈ પણ મુશ્કેલી આવે તે થોડો સમય માટે જ હોય છે. એ પિરિયડ લોંગ લાસ્ટિંગ ક્યારેય હોતો નથી. અમુક સમય પછી તેમાંથી બહાર આવી જ જવાય છે. સાચું કહું તો રોજ સવારે ઊઠીને કામ જ કરું છું. જો 2 પ્રોજેક્ટ પૂરાં થવાનાં હોય તો મગજમાં એ જ વિચારો હોય કે હવે નવો પ્રોજેક્ટ ક્યારે ચાલુ કરીશ?' 'બંગલાની કિંમત કોઈને પોસાય તેવી રહી નથી''અમદાવાદમાં હવે બંગલા કરતાં પ્રીમિયમ ને લક્ઝરી ફ્લેટ-અપાર્ટમેન્ટનું ચલણ વધ્યું છે. પહેલા અમદાવાદના R2 ઝોનમાં બંગલા બનતા અને તે બજેટની અંદર ટ્વીન કે સ્વતંત્ર બંગલો મળી જતા. હવે સરકારી નિયમો પ્રમાણે, FSI (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ)નું પ્રમાણ વધી ગયું છે. આ જ કારણે જમીનોના ભાવમાં વધારો આવ્યો. બંગલા મૂકવા કોઈ પણ ડેવલપરને પોસાય તેમ નથી. માત્ર R3 ઝોનમાં બંગલા પોસાય, એમાં પણ એક લિમિટથી મોટી સાઇઝના જ બંગલા મૂકી શકાય. હાલના સમયે જમીન ભાવ વધતા બંગલાની કિંમત વધી ગઈ અને તે બધાને પોસાય તેવી રહી નથી. અમદાવાદમાં એક એવો ક્લાસ છે, જેની પાસે પાંચ કરોડનું બજેટ છે પણ હાલના સમયે પાંચ કરોડમાં બંગલો મળવો મુશ્કેલ છે. અલબત્ત, આટલા જ પૈસામાં પ્રીમિયમ અપાર્ટમેન્ટ તો મળી જ જાય છે અને આ જ કારણે પ્રીમિયમ અપાર્ટમેન્ટની કિંમત સતત વધી છે.' 'પ્રીમિયમમાં સ્પેસિફિકેશન હાઇ'યશ બ્રહ્મભટ્ટ પણ સ્વીકારે છે, 'આજકાલ પ્રીમિયમ મકાનો હોય કે અન્ય સેગમેન્ટના હોય... તમામમાં ક્વૉલિટી ફરજિયાત જ છે. પ્રીમિયમ અપાર્ટમેન્ટમાં સ્પેસિફિકેશન હાઇ હોય છે. ઇટાલિયન માર્બલ યુઝ થાય, સેન્ટ્રલી એસી, બાથરૂમ ફિટિંગ્સ, એમિનિટીઝ સારી હોય છે.' 'આજકાલ અમદાવાદમાં 30-40 માળની બિલ્ડિંગ્સ બનવાનું પ્રમાણ વધ્યું છે. પહેલા 70 મીટરથી વધુ હાઇટની પરમિશન નહોતી પણ થોડા વર્ષો પહેલાં જ આ પરમિશન આપવાનું ચાલુ થયું છે. આ જ કારણે અત્યાર સુધી 150-160 મીટરની બિલ્ડિંગને પરમિશન મળી ચૂકી છે. 50-70 જેટલા બિલ્ડિંગ બની રહી છે અને ફ્યૂચરમાં પણ આ ટ્રેન્ડ વધારે જોવા મળશે.' 'કોમનવેલ્થને કારણે રિયલ એસ્ટેટના ભાવ ઘટશે નહીં''અમદાવાદમાં કોમનવેલ્થને કારણે હોટલ ઇન્ડસ્ટ્રીમાં ઘણો જ ગ્રોથ આવશે. આ ઉપરાંત અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો સારું જ છે પણ હજી વધારે સારું બનશે. ટ્રાવેલિંગ, માઇગ્રેશન વધશે. નવી તકો આવશે. લોકોનું ઇન્વેસ્ટમેન્ટ પણ વધશે. હજી પણ અમદાવાદનું રિયલ એસ્ટેટ મેટ્રો સિટી ને ટીઅર 2 સિટીની તુલનામાં ઘણું જ રિઝનેબલ છે. કોમનવેલ્થની પાછળ પાછળ ઓલિમ્પિકની વાતો પણ થઈ રહી છે. તેના લીધે અમદાવાદનો ભાવ ટીઅર 1 સિટી જેટલો થઈ જશે. આ ઉપરાંત ગિફ્ટ સિટી, ધોલેરા, સાણંદનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે, ગુજરાતમાં મોટી મોટી કંપનીઓ આવી રહી છે, ઓટોમોબાઇલથી સેમિ કંડક્ટર ચિપની ફેક્ટરીઓ ઊભી થઈ છે. આને કારણે અમદાવાદમાં સતત લોકો આવી રહ્યા છે. આ સિનારિયો જોતાં અમદાવાદના રિયલ એસ્ટેટના ભાવ વધવાનું શોર્ટ ટાઇમમાં તો બંધ નહીં જ થાય તે નક્કી છે.' 'રિયલ એસ્ટેટમાં રોકાણ કરો તો ફાયદો જરૂરથી થશે''રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનો સમય હંમેશાં સારો જ હોય છે, કારણ કે રિયલ એસ્ટેટ સૌથી સૅફ છે. સામાન્ય રીતે આપણે સ્ટોક માર્કેટ, ગોલ્ડ ને બેંકમાં ફિક્સ ડિપોઝિટ એ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ. FDમાં રિટર્ન ઓછું પણ સૅફ હોય, સ્ટોક માર્કેટમાં રિટર્નની સામે રિસ્ક વધારે છે. ગોલ્ડ માર્કેટ આ વખતે અચાનક વધી ગયું, બાકી તે પણ ઝડપથી રિટર્ન આપતું નથી. રિયલ એસ્ટેટમાં તમે સમજીને સારી જગ્યાએ રોકાણ કર્યું તો જરૂરથી ફાયદો થશે. આજથી 10 વર્ષ પહેલા જે પણ પ્રોપર્ટી ખરીદી હતી તેના રેટ અત્યારે જોઈએ તો અલમોસ્ટ 3-4 ગણા વધી ગયા છે. આવું રિટર્ન ગોલ્ડ કે અન્યમાં મળવું મુશ્કેલ છે. રિયલ એસ્ટેટમાં જે ઘરમા રહેતા હો તેમાં તમને એપ્રિસિએશન મળે અને જો ભાડે રહેતા હો તો રેન્ટ ને એપ્રિસિએશન બંને મળે છે. હવે તો લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં સરકારે 12.5% જ ટેક્સ કર્યો છે.' અમદાવાદના પ્રીમિયમ એરિયા કયા?'અમદાવાદના સૌથી મોંઘા વિસ્તારની વાત કરીએ તો, વિશ્વમાં એક જનરલ સિનારિયો છે કે પશ્ચિમમાં હંમેશાં પ્રીમિયમ ડેવલપમેન્ટ થતું હોય છે. અમદાવાદમાં એસ.જી. હાઇવે, બોડકદેવ-આંબલીનો એરિયા ડેવલપ હોવાથી ત્યાં સૌથી ઊંચા ભાવે ને સૌથી પ્રીમિયમ રેટ જોવા મળે છે. આ એરિયામાં અંદાજે ₹7500-10,000 સ્ક્વેરફૂટે ભાવ ચાલતો હોય છે. અલબત્ત, મુંબઈ-દિલ્હીની તુલનામાં આ ભાવ ઘણો જ ઓછો છે. આગામી પાંચેક વર્ષમાં આ ભાવ 3-2 ગણા થવાની શક્યતા છે', તેમ શિલ્પ ગ્રૂપના ફાઉન્ડરે ઉમેર્યું હતું. અમદાવાદમાં કેમ એક-બે બેડરૂમના ફ્લેટનું ગણિત શું?યશ બ્રહ્મભટ્ટે એક કે બે બેડરૂમના ફ્લેટનું ગણિત સમજાવતા કહ્યું, 'આજકાલ જમીનના દિવસે દિવસે વધી રહ્યા છે. પહેલાં જમીન કરતા કન્સ્ટ્રકશનની કોસ્ટ વધારે હતી. પછી એક સમય આવ્યો કે જમીન અને કન્સ્ટ્રક્શનની કોસ્ટ સરખી થઇ ગઈ. અત્યારે જમીન મોંઘી છે અને એના કરતા કન્સ્ટ્રક્શનની કોસ્ટ ઓછી છે. એટલે જે પણ ભાવ વધ્યો તે માત્રને માત્ર જમીનનો રેટ વધતા વધ્યો છે, પછી તે ફ્લેટ હોય કે ઑફિસ. કોઈ પણ એરિયામાં કન્સ્ટ્રક્શન કરે તો તેની કિંમત તો સરખી જ છે. જમીનના ભાવને કારણે જ શહેરના પ્રીમિયમ લોકેશન પર એક-બે બેડરૂમના ફ્લેટ બનતા નથી. આ સેગમેન્ટના મકાનો શહેરથી થોડા દૂર બને છે.' ઘર લેવું છે, આટલું અચૂક ધ્યાનમાં રાખોઘર લેતા સમયે કેવી કેવી સાવચેતી રાખવી તે અંગેની સમજણ આપતા યશ બ્રહ્મભટ્ટ કહે છે, 'સૌથી પહેલા જે પ્રોજેક્ટમાં ઘર લઇ રહ્યા છો એના ડેવલપરનો ભૂતકાળ ચેક કરવો જોઈએ અને જાણવું કે તેને કેવા કેવા પ્રોજેક્ટ કેટલા સમયમાં ડિલિવર કર્યા છે, કેવી ક્વૉલોટીના છે. પ્રોજેક્ટમાં જે કમિટમેન્ટ આપ્યા હતા કે પૂરા કર્યા કે નહીં? આ ઉપરાંત RERA ચેક કરવું. સુપર બિલ્ટ અપમાં કોઈ ધારા-ધોરણ નથી. આ જ કારણે કોઈ 40 તો કોઈ 45-50-55% સુધી લેતા હોય છે. આ જ કારણે વ્યક્તિએ તેને કેટલો નેટ એરિયા વાપરવા પડે છે અને તેની શું કિંમત છે તેના પર જ ફોકસ કરવું. જો બિલ્ડિંગ અંડર કન્સ્ટ્રક્શનમાં છે અને બે-ત્રણ વર્ષે ઘર મળશે તો બિલ્ડરનું કમિટમેન્ટ ખાસ ચેક કરવું. ભલે બે પ્રોજેક્ટની કોસ્ટમાં પાંચ-દસ ટકાનો ફેર હોય પણ તમે જ્યારે સારી કવૉલિટીનું ઘર લેવા નીકળ્યા છો તો ત્યારે સારી વસ્તુ લઈને થોડી વધુ કિંમત આપવી સારી. ક્વૉલિટી બે રીતની હોય છે, એક ફિનિશિંગ ને બીજી અંદરની કોંક્રિટ-સિમેન્ટની. આ કોઈને દેખાય નહીં અને તે લાંબા ગાળે જ ખ્યાલ આવે. આ ક્વૉલિટી ચેક કરવી હોય તો પ્લાનિંગ ને સ્ટ્રક્ચર ડિઝાઇનું નોલેજ હોય તે જ કરી શકે. અલબત્ત, ફિનિશિંગની ક્વૉલિટી તો બહારથી દેખાવ પરથી જ ખ્યાલ આવી જાય. ઘર લેતી વખતે RERAની સાઇટ પર જે-તે ડેવલપરનું નામ નાખતા તેના ભૂતકાળના પ્રોજેક્ટથી લઈ ઓન ગોઇંગ પ્રોજેક્ટની તમામ માહિતી મળી જતી હોય છે.' 'મેં મૂડી વગર જ ધંધો કર્યો, માત્ર ડેડીકેશન, ડિસિપ્લિન ને પેશન જરૂરી'યશ બ્રહ્મભટ્ટના મતે, 'રિયલ એસ્ટેટમાં કોઈ પણ વ્યક્તિ આવી શકે છે. સવાલ માત્ર તે વ્યક્તિમાં પેશન ને ઇન્ટરેસ્ટ હોય તે જરૂરી છે. જો વ્યક્તિમાં આ બે બાબતો ના હોય અને તેમ છતાં તે ફિલ્ડમાં આવે છે તો તેને સફળતા મળવાની શક્યતા ઓછી છે. આ સાથે સખ્ત મહેનત કરવાની તૈયારી હોય, જેટલી ઇન્ફર્મેશન સમજતી થશે તેમ તેમ રિયલ એસ્ટેટની એબીસીડી આવડતી જશે. રિયલ એસ્ટેટ ક્યારેય બુક વાંચીને શીખી શકાય નહીં. તે માટે જાત અનુભવ લેવો જ પડે. કામ કરતી વખતે ભૂલો પણ થશે અને ત્યારે ધ્યાન એટલું જ રાખવાનું કે જે ભૂલો કરી છે તેનું પુર્નરાવર્તન ના થાય. જો તમે સતત તેમાં રચ્યાપચ્યા રહો તો તમારા સફળ થવાના ચાન્સ વધી જાય છે. પૈસાથી જ રિયલ એસ્ટેટનો બિઝનેસ થાય તે પણ વાત સાચી નથી. મારું જ એક્ઝામ્પલ જોઈ લો મેં કોઈ મૂડી વગર જ ધંધો કર્યો ને તેમાંથી શિલ્પ ગ્રૂપ ઊભું કર્યું છે. પૈસા વગર પણ તમે કોઈ પણ ફિલ્ડમાં બિઝનેસમાં જઈ શકો છો. શરત માત્ર એટલી કે તમારામાં ડેડીકેશન, ડિસિપ્લિન તથા પેશન હોય તો જ આગળ વધી શકાય.' ('સ્કાયલાઇનર્સ'માં આવતીકાલે છેલ્લા ને પાંચમા એપિસોડમાં વાત કરીશું, અમદાવાદમાં યુનિક કોન્સેપ્ટથી ઘર બનાવનાર ને અમદાવાદના અંબાણીઓને અલગ ફિલિંગ આપનાર ક્રોમ ગ્રુપના ફાઉન્ડર ચિરાગ રાવની…)

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 6:00 am

LRDની રનિંગની ટેસ્ટ 25 મિનિટમાં પૂરી કરવા શું કરવું?:પ્રેક્ટિસનું શેડ્યુલ કેવું રાખવું, ફાઇનલમાં પહેલાં સ્પીડ રાખવી કે પછી?, જાણો એક્સપર્ટ્સની ટીપ્સ

LRD અને PSIની ભરતી 2025-26 માટે 14 લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. આ ભરતી માટે 21 જાન્યુઆરીથી ફિઝિકલ ટેસ્ટ શરૂ થશે. જો કે ભરતી પહેલાં ખૂબ તૈયારી કરી હોવા છતાં ઘણાં ઉમેદવારો ફિઝિકલ ટેસ્ટમાં જ હાંફી જતા હોય છે. પોલીસ ભરતીના આ ઉમેદવારોની ફિઝિકલ ટેસ્ટ પાસ કરવા માટે કેવી તૈયારી કરવી? તેમાં કઈ કઈ અડચણો આવે છે? આ પ્રકારની તમામ બાબતો જાણવા દિવ્ય ભાસ્કરે કોચ, ઉમેદવાર અને ફિઝિયોથેરાપિસ્ટ સાથે વાત કરી હતી. ઉમેદવારોને કેવી રીતે તૈયારી કરવીપોલીસ ભરતી માટે 10 વર્ષથી તૈયારી કરાવતા કોચ શિવાંગ જોષીએ જણાવ્યું કે, અત્યારનો સમય એવો છે કે હાલમાં યુવાઓ જ્યારે પરીક્ષા આવે છે ત્યારે જ રનિંગની તૈયારી કરતા હોય છે. જેમ કે ભાઈઓએ 5 કિમીની દોડ 25 મિનિટમાં પૂર્ણ કરવાની હોય છે. જ્યારે બહેનોએ 1600 મીટરની દોડ 9.30 મિનિટમાં પૂરી કરવાની હોય છે. પરંતુ ઉમેદવારો પાસે કેવી રીતે તૈયારી કરવી તેનું જ્ઞાન હોતું નથી. આ અંગે અમે 7 વર્ષથી ઉમેદવારોને તૈયારી કરાવીએ છીએ. જેમાંથી 750થી 800 વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ પાસ કરી ચુક્યા છે. ઉમેદવારોને ગ્રાઉન્ડ પાસ કરવા માટે પ્રોપર ટ્રેનિંગની જરુર હોય છે. 'વીડિયો જોઈને જાતે પ્રેક્ટિસ કરે છે એટલે નપાસ થતા હોય'હાલમાં સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા ઉમેદવારો આરામથી ગ્રાઉન્ડ પાસ કરી શકશે. પરંતુ જે ઉમેદવારો કોઈ ફિઝીકલ એક્ટિવિટી સાથે જોડાયેલા નથી હોતા તેવા વિદ્યાર્થીઓને ફિઝિકલ ટેસ્ટ પાસ કરવી મુશ્કેલ હોય છે. આ વર્ષની ભરતીમાં 14 લાખ જેવા ફોર્મ ભરાયાં છે, જુની ભરતીમાં 12 લાખ જેવા ફોર્મ ભરાયા હતા. જેમાંથી 2.50 લાખ ઉમેદવારોએ ગ્રાઉન્ડ પાસ કર્યું હતું. સૌથી મોટી તો એ તકલીફ હોય છે કે ઉમેદવારોને યોગ્ય માર્ગદર્શન નથી હોતું. અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં વીડિયો જોઈને જાતે પ્રેક્ટિસ કરે છે એટલે નપાસ થતા હોય છે. ‘અઠવાડિયા પહેલા ડાયટ શિડ્યુલ વ્યવસ્થિત ફોલો કરવું જોઈએ’ફાઈનલ રનિંગ વખતે જ્યારે ઉમેદવારો જાય છે ત્યારે રાઉન્ડ કરવામાં મોટી ભૂલ કરતા હોય છે એટલે અમુક ગ્રાઉન્ડમાં 12 રાઉન્ડ હોય છે. જ્યારે અમુકમાં 13 રાઉન્ડ હોય છે એટલે રાઉન્ડ માટે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવી જોઈએ. જ્યારે પરીક્ષાનો સમય હોય ત્યારે તો એના અઠવાડિયા પહેલા તમારે ડાયટ શિડ્યુલ વ્યવસ્થિત ફોલો કરવું જોઈએ. વધારે તીખું કે મસાલા વાળી વસ્તુ ના ખાવી જોઈએ કેમ કે વિદ્યાર્થીઓને સવારે 3 કે 4 વાગ્યે ગ્રાઉન્ડ પર પહોંચવાનું હોય અને 5 વાગ્યાથી રનિંગ સ્ટાર્ટ થતું હોય છે આ દરેક બેઝિક વસ્તુનું વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવું જોઈએ. ‘હેવી રનિંગ નથી કરવાનું ફક્ત જોગિંગ જેવું રનિંગ કરવાનું’જેમ કે ફિઝિકલ ટેસ્ટના એક દિવસ પહેલા અમે રિકવરી માટે તેમને આરામ આપીએ છીએ, પણ એમાં રનિંગ સાવ બંધ પણ નથી કરી દેવાની, હેવી રનિંગ નથી કરવાનું ફક્ત જોગિંગ જેવું રનિંગ કરવાનું છે. તેમજ મસલ્સ માટે સ્ટ્રેચિંગ કરી શકાય જે પરીક્ષાના આગલા દિવસે ધ્યાનમાં રાખવું જોઈએ. થાક લાગે તો શું કરવું?રનિંગ કરતી વખતે રાઉન્ડ ભૂલી ના જવાય તેના માટે ધ્યાન રાખવાની બાબતો અંગે કહે છે કે, જેના માટે સૌથી બેસ્ટ તો પ્રેક્ટિસ જ છે કેમ કે રનિગ કરતી વખતે થાક લાગે તો થાક લાગ્યો હોય ત્યારે મગજ એકાગ્ર નથી હોતું. જેના લીધે રાઉન્ડ ગણવામાં ભૂલ થતી હોય છે. જેથી બેટર છે કે તમારે રાઉન્ડ ગણવા હોય તો ઘણાં લોકો રબર બેન્ડ યુઝ કરતા હોય છે ઘણાં લોકો સ્ટોન રાખતા હોય છે. પરંતુ એ બધી વસ્તુ કોઈ વખત ભુલી જવાય તો ફિઝિકલ એક્ઝામમાં ફેલ થવાના ચાન્સ વધી જાય છે. જેથી હજુ સમય છે તો રાઉન્ડ ગણવાની પ્રેક્ટિસ કરો તો પરીક્ષા વખતે ભૂલ ના થાય. દોડતી વખતે હાર્ટમાં દુખે તો શું કરવું?રનિંગ વખતે આવતા એટેક અંગે કહે છે કે, હાલમાં ઉમેદવારો કોઈપણ માર્ગદર્શન વગર દોડવાનું ચાલુ કરે છે. પરીક્ષાના ફોર્મ ભરે એટલે એકદમથી દોડવાનું ચાલુ કરી દે છે. તેમના જોઈ કોઈ પ્રોપર કોચિંગ નથી હોતું કે કોઈ ગાઈડન્સ નથી હોતું. શરુઆતના સ્ટેજમાં આપણું હાર્ટ ટેવાયેલું નથી હોતું. જેથી અમે શરુઆતમાં કહીએ છીએ કે પહેલા વોકીંગથી ચાલુ કરો એક દિવસ તમે વોકીંગ કરો જેથી તમારા હાર્ટને પણ ખબર હોવી જરૂરી છે કે તમારા બિટ્સ અપ જતા હોય એકદમ હાર્ટ બિટ અપ જાય જેના લીધે હાર્ટ એટેક આવવાના બનાવ બનતા હોય છે સેકન્ડ વસ્તુ છે હાઈડ્રેશન, આપણા હાર્ટને પાણીની જરૂર હોય છે તો ફિઝિકલની પ્રેક્ટિસ કરતા યુવાનોએ દિવસમાં 3થી 4 લીટર દિવસમાં પાણી પીવું જોઈએ, અને એકદમ હેવી એક્ટિવિટીથી બચવું જોઈએ અને દોડતી વખતે લાગે કે હાર્ટમાં દુખે છે તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ક્યારે લોંગ રનિંગ કરવી જોઈએ?પોલીસ પરીક્ષાની તૈયારી કરતા ઉર્વીન ચૌધરીએ કહ્યું કે, અમે ઘણાં વર્ષથી PSI અને ફોરેસ્ટ માટે પ્રેક્ટિસ કરીએ છીએ, ઘણાં લોકો તૈયારી કરવા જાતે જ દોડતા હોય છે એક માઈન્ડ સેટ હોય છે કે 5 કિમી દોડવાનું છે તો રોજ 5 કિમી દોડતા હોય છે. પરંતુ તેમને માર્ગદર્શન વગર રિઝલ્ટ મળી શકતું નથી અમે એકેડમી જોઈન કર્યું એટલે અમને પ્રોપર વોર્મ અપ, માર્ગદર્શન, રોજ કઈ રીતનું વર્કઆઉટ હોવું જોઈએ ક્યારે ટાઈમિંગ લેવો જોઈએ, ક્યારે લોંગ રનિંગ કરવી જોઈએ, ડાયટ માટે શું ફોલો કરવું જોઈએ, શું કૂલ ડાઉન પ્રોસેસ હોય છે. રનિંગ પહેલા અને રનિંગ પછી, કેવી રીતના સ્ટેપ્સ હોવા જોઈએ તે માર્ગદર્શનથી જ મળે છે. કેવી રીતના સ્ટેપ્સ હોવા જોઈએ મારો પોતાનો ટાઈમિંગ 5 કિમી રનિંગમાં 20 મિનિટ અને 21 સેકન્ડ આવ્યો હતો. જે ખુબ સારું માનવામાં આવે છે જે 25 મિનિટમાં પણ પૂરુંના થઈ શકે તે 20 મિનિટ અને 21 સેકન્ડમાં પુરુ થાય તો પરીક્ષામાં સફળ બની શકાય છે. આ સમય પ્રાપ્ત કરવા માટે પ્રોપર ડાયટ, નિયમિત્તા, વોર્મ અપ અને સ્પીડ વર્ક આઉટ પર ધ્યાન આપ્યું છે. કેટલા રાઉન્ડમાં ખેંચવું તે આ રીતે ખબર પડેપોલીસ ભરતીની તૈયારી કરતા મીનલ રબારીએ જણાવ્યું કે, તેમજ પ્રોપર ડાયટ પણ જરૂરી છે. જેમ કે બીટ, ગાજર ખાવા જોઈએ તેમજ આત્મવિશ્વાસ રાખવો જોઈએ. પહેલા મારે 1600 મીટર 11 મિનિટમાં પુરુ થતું હતું હવે 9 મીનિટમાં પુરુ થાય છે. ‘હાલમાં હું 24 મીનિટમાં પુરુ કરી શકું છું’જય ચૌધરી નામના યુવકે જણાવ્યું કે, અમે પહેલા ગામડામાં દોડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ગામડામાં યોગ્ય ગ્રાઉન્ડ ન હતું અને ખાડાના લીધે દોડવામાં મુશ્કેલી પડતી હતી. અમે 5 કિમીથી વધારે દોડી શકતા હતા. પરંતુ અમને ઘણાં પ્રોબ્લેમ થતાં હતા. જેથી અમને બીજા મિત્રોએ કહ્યું કે પ્રોપર માર્ગદર્શન સાથે દોડશો તો પાસ થઈ શકશો, જેથી મેં માર્ગદર્શન સાથે દોડવાનું શરુ કર્યું તો હાલમાં હું 24 મીનિટમાં પુરુ કરી શકું છું. ‘કોઈપણ પ્રકારની દવા કે ડ્રગ્સ ના લેવું જોઈએ’20 વર્ષથી સ્પોર્ટ્સની અને 10 વર્ષથી પોલીસ ભરતી માટે ફિઝીકલ ટેસ્ટની ભરતીની તૈયારી કરાવનારા સુર્યા નામના કોચે જણાવ્યું કે, હાલ જે પોલીસ ભરતી માટે તૈયારી કરતા હોય તેમણે દોડ પુરી કરવા માટે કોઈપણ પ્રકારની ટેબલેટ ના લેવી જોઈએ, કોઈ કોચ જો એવી સલાહ આપે કે ઓછી મીનિટમાં પુરી કરવા માટે આ દવા લેશો તો દોડ ઓછી મિનિટમાં પુરી થશે તો તેમજ રનિંગ ઓછી મિનિટમાં પુરી કરવા માટે જો 12 રાઉન્ડ કરતા હોય તો અઠવાડીયામાં 15થી 16 રાઉન્ડ રનિગ કરવું જોઈએ અને ફાઈનલ રનિંગ પહેલા સ્પીડ વર્ક આઉટ કરવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 6:00 am

અમિત શાહ મોબાઈલમાં જોઈને મલકાયા:ધારાસભ્યે એવું તો શું બતાવ્યું?; મુખ્યમંત્રીએ ઢીલ આપી પતંગ ખેંચી લીધો, જુઓ VIDEO

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 6:00 am

ટિકિટ વિના ટ્રેનમાં જમો!:અમદાવાદમાં પહેલી રેલવે કોચ રેસ્ટોરન્ટ શરૂ થશે, 24 કલાક ચટાકેદાર વાનગીઓ મળશે

અત્યાર સુધી તમે સવા બસ્સો ફૂટ ઊંચી પતંગ હોટલમાં બેસીને સ્વાદિષ્ટ ભોજનની મજા માણી જ હશે. કાંકરિયામાં તરતી બોટમાં બેસીને ચટપટા નાસ્તાની પણ મજા માણી હશે. ભરચક રસ્તા પર ચાલતી બસમાં ફૂડ ઓન વ્હીલની પણ ક્યારેક મુલાકાત લીધી હશે. આટલું તો ઠીક પણ પ્લેન રેસ્ટોરાંથી લઇને હવામાં લટકતી રેસ્ટોરાંની પણ મજા માણી હશે ત્યારે સ્વાદના રસિકોના લિસ્ટમાં વધુ એક ઠેકાણું ઉમેરાઇ જશે. આ ઠેકાણું એટલે આંબલી રેલવે સ્ટેશન. જ્યાં પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન દ્વારા શહેરની પહેલી રેલવે કોચ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવશે. જેમાં જવા માટે તમારે કોઇ ટિકિટ પણ નહીં લેવી પડે કે ન તો કોઇ જગ્યાની મુસાફરી કરવી પડશે. ટ્રેનના અસલ કોચમાં બેસીને તમે પરિવાર અને મિત્રો સાથે ગમે ત્યારે જઇને ભોજનની મજા માણી શકશો. અમદાવાદીઓને આ રેસ્ટોરન્ટનો લાભ ક્યારથી મળશે? આ શરૂ કરવા પાછળનો ઉદ્દેશ્ય શું છે? અહીં 24 કલાક દરમિયાન કેવી કેવી વાનગીઓનો ચટાકો લોકોને માણવા મળશે? આ કોન્સેપ્ટ કેવી રીતે ડેવલપ થયો? એક સાથે કેટલા લોકો ભોજન લઇ શકશે? પાર્કિંગ અને સિક્યોરિટી માટે કેવું આયોજન છે? આ તમામ બાબતો અંગે દિવ્ય ભાસ્કરે પશ્વિમ રેલવેના અમદાવાદ મંડળના જનસંપર્ક અધિકારી અજય સોલંકી અને કોન્ટ્રાક્ટ મેળવનાર દીક્ષા રોડ લાઇન્સના અજયસિંહ તોમર સાથે ખાસ વાતચીત કરી હતી. રેસ્ટોરન્ટ 24 કલાક ચાલુ રહેશેઆંબલી રેલવે સ્ટેશન પર શરૂ થનારી આ રેસ્ટોરન્ટમાં વેજ ભોજન જ પીરસાશે. અહીં આવનારા લોકોને ગુજરાતી, પંજાબી, ચાઇનીઝથી લઇને સવારના સમયે નાસ્તો પણ મળશે. સૌથી મહત્વની બાબત એ છે કે આ રેસ્ટોરન્ટ 24 કલાક કાર્યરત રહેશે જેથી અહીં ગમે ત્યારે કોઇપણ વ્યક્તિ આવશે તો તેને ભોજન કે નાસ્તો મળી રહેશે. વૃક્ષોને કાપવાના બદલે રેસ્ટોરન્ટનો ભાગ બનાવ્યાઆ રેલવે સ્ટેશનની બહારના 575 સ્ક્વેર મીટરમાં તૈયાર થઇ રહેલી રેસ્ટોરન્ટનું તમામ આયોજન પણ વાસ્તુ શાસ્ત્રના આધારે કરવામાં આવ્યું છે. એટલું જ નહીં આ જગ્યામાં જેટલા પણ વૃક્ષો હતાં તેને કાપવાની જગ્યાએ એવી રીતે ડેવલપ કરાયા છે કે તેને રેસ્ટોરન્ટનો જ ભાગ બની જાય. આ રેસ્ટોરન્ટ અંદાજે 1 કરોડ કરતાં વધુના ખર્ચે તૈયાર થશે. આંબલી સ્ટેશન ખૂબ જ શાંત વિસ્તારમાં છે અને તેની ચારેય બાજુ દિવાલની બાઉન્ડ્રી છે. બીજી તરફ અહીં સ્પેસ પણ ખૂબ જ સારી છે એટલે અહીં ટુ વ્હીલર્સ, ફોર વ્હીલર્સ લઇને આવનારા લોકો માટે પાર્કિંગનો પ્રશ્ન નહીં રહે. અત્યાર સુધીમાં દેશમાં આવા 10થી વધુ સ્ટેશન પર આ રેસ્ટોરન્ટ કાર્યરત કરાઇ છે. સામાન્ય રીતે રેસ્ટોરન્ટ રેલવે સ્ટેશનની બહાર રેલવેના પરિસરમાં જ કાર્યરત કરાય છે. જેથી સ્ટેશને આવતા લોકો અને જે-તે જગ્યાના લોકો તેનો વધુ લાભ લઇ શકે. કન્ડમ કોચને રેસ્ટોરન્ટમાં કન્વર્ટ કરાયોપશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના જનસંપર્ક અધિકારી અજય સોલંકીએ દિવ્ય ભાસ્કરને કહ્યું, પશ્ચિમ રેલ્વેએ અમદાવાદના આંબલી રેલવે સ્ટેશન પર એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. અહીં એક કન્ડમ કોચ મુકાયો આવ્યો છે. જેમાં રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવશે. હાલમાં આ રેસ્ટોરન્ટની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં આ પ્રકારની જેટલી પણ રેલવે રેસ્ટોરન્ટ શરૂ કરાઇ છે તે તમામ માટે ઓપન ટેન્ડરિંગ પ્રક્રિયા થાય છે. એ પછી જે પણ પાર્ટી પેરામીટર્સમાં ખરી ઉતરે તેને આ રેસ્ટોરન્ટ ચલાવવા માટે અપાય છે. આ રેલવે કોચ રેસ્ટોરન્ટનો કોન્ટ્રાક્ટ દીક્ષા રોડ લાઇન્સને ટેન્ડરિંગ પ્રક્રિયાથી મળ્યો છે. જેથી 10 વર્ષ સુધી દીક્ષા રોડ લાઇન્સ જ તેનું સંચાલન કરશે. અજયસિંહ તોમર દીક્ષા રોડ લાઇન્સના માલિક છે. 2 મહાકાય ટ્રેનની મદદથી કોચને ઊંચકીને મુકાયોતેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું, આ રેસ્ટોરન્ટના ટેન્ડરિંગ માટેની પ્રોસેસ જાન્યુઆરી 2025માં થઇ હતી. રેલવે કોચ મૂકતાં પહેલાં અહીંના ડેવલપમેન્ટ માટે અમારો થોડો સમય ગયો. હાલમાં જે બોગી છે તે રેલવેએ અમને સપ્ટેમ્બર મહિનામાં આપી હતી. આંબલી સ્ટેશનના પાટા સુધી રેલવે વિભાગ બોગી લાવ્યો હતો જેના પછી અમે આ બોગીને 2 મહાકાય ક્રેનની મદદથી ટ્રેલરમાં મૂકીને સ્ટેશન પરિસરમાં નક્કી કરેલી જગ્યા પર મૂકી હતી. ટ્રેનમાં નવો કોચ જોડાય ત્યારે તેની એક લાઇફ નક્કી કરાય છે. જેટલી લાઇફ નક્કી કરી હોય તેટલો સમય એ કોચ સર્વિસમાં રહે છે પછી તેને બહાર કરાય છે. આ બહાર કરાયેલા કોચને જ રેસ્ટોરન્ટમાં કન્વર્ટ કરાય છે. અત્યારે આ કોચના આઉટરમાં પેઇન્ટિંગની કામગીરી ચાલી રહી છે સાથે જ ઇલેક્ટ્રિક ફીટિંગથી લઇને ભોજન માટેના ટેબલ તૈયાર કરવાની કામગીરી કરાઇ રહી છે. આ જોતા અજય સોલંકીનું માનવું છે કે અમદાવાદીઓને ટૂંક જ સમયમાં આ રેસ્ટોરન્ટની ભેટ મળી શકે છે. ટેક અવેની પણ સુવિધા મળશેતેમણે જણાવ્યું કે, આવી રેસ્ટોરન્ટમાં કોચમાં જ ટેક અવેની સુવિધા હોય છે અને કિચન પણ કોચની અંદર જ હોય છે. જેના કારણે ઓછા લોકો ત્યાં બેસી શકે છે. આ પ્રકારની રેસ્ટોરન્ટ મુંબઇમાં દાદર, બાંદ્રા, અંધેરી અને બોરીવલીમાં છે. આ બધી જગ્યાએ સામાન્ય રીતે 40 લોકોની બેઠક ક્ષમતા હોય છે પણ અહીં આંબલીમાં જે રેલવે રેસ્ટોરન્ટ બની રહી છે તેમાં એક સાથે 60 લોકો બેસી શકે તેવી ક્ષમતા છે. ટ્રેનની જેમ જ પુલિંગ માટે ચેન મૂકાઇકોચને પ્રીમિયમ ટચ અપાઇ રહ્યો છે. અજયસિંહ તોમર આ અંગે કહે છે કે, કિચન બહારના ભાગમાં હોવાથી કોચની અંદર 60થી વધુ લોકો એકસાથે ભોજન લઇ શકશે. અમે કોચને આ રીતે ડેવલપ કરી રહ્યાં છીએ. અમે બોગીને પ્રીમિયમ ટચ આપીશું. બોગીમાં વિન્ડોના કર્ટેન્સ પણ યુનિક લૂકમાં હશે. સાથે જ ઓરિજિનલ ટ્રેનમાં જે રીતે પુલિંગ માટે ચેન અપાય છે તેવી જ રીતે અહીં પણ ચેન મુકાઇ છે. બોગીની બહાર પણ અમારી પાસે પ્રિમાઇસીસ છે તો ત્યાં પણ અમે ઓપન ડાયનિંગ રાખવાના છીએ જે યંગસ્ટર્સને ખૂબ પસંદ આવશે. સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને ફાયર સેફ્ટીના સાધનો પણ હશેઅહીં કોઈ પણ અનિચ્છનિય ઘટના ન બને તે માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે સાથે જ ફાયર સેફ્ટીના સાધનો પણ લગાવાશે.જો કોઇ સંજોગોમાં અહીં ભીડ થાય અને કોઇ વ્યક્તિને વેઇટિંગ ન કરવું હોય તો તેના માટે ટેક અવેની પણ સુવિધા છે. જેથી સમયની બચત થઇ શકશે. ગુજરાતની ઝાંખી જોવા મળશેઅજય સોલંકી કહે છે કે, આ રેસ્ટોરન્ટમાં અમદાવાદ અને ગુજરાતની ઝાંખી જોવા મળશે. ભારતીય રેલવેએ જે-જે રાજ્યમાં અને જે-જે શહેરમાં રેસ્ટોરન્ટ ઓન વ્હીલ શરૂ કરી છે ત્યાં જે-તે જગ્યાની સંસ્કૃતિ અને પ્રખ્યાત સ્થળોની ઝાંખી દર્શાવવામાં આવી છે. જેથી બહારથી આવનારા લોકોને પણ એ શહેરની ત્યાં ફીલ મળી શકે. એવી જ રીતે આંબલીમાં પણ બની રહેલી રેલવે રેસ્ટોરન્ટના ઇન્ટિરિયર અને બહારના ભાગમાં અમદાવાદ તેમજ ગુજરાતની ઝાંખી જોવા મળશે. રેસ્ટોરન્ટ ઓન વ્હીલને જે રીતે તૈયાર કરવામાં આવી રહી છે તેની ભવ્યતાને જોઇને આપણને એમ લાગે કે આમાં તો ખૂબ જ ઊંચા ભાવે ભોજન મળશે પરંતુ આ રેસ્ટોરન્ટનો જ્યારે કોન્સેપ્ટ ડેવલપ કરવામાં આવ્યો ત્યારે સામાન્ય વ્યક્તિને કેન્દ્રમાં રાખવામાં આવીને વિચાર કરવામાં આવ્યો હતો. એટલે અહીં સામાન્ય વ્યક્તિ પણ તેનો લાભ લઇ શકશે. સેલિબ્રેશનનું નવું ઠેકાણું બનશેઅજયસિંહ તોમરે કહ્યું, આ રેસ્ટોરન્ટમાં અમે ઇનબિલ્ટ સ્પીકર મૂક્યાં છે. જેમાં રેલ્વેની જેમ એનાઉન્સમેન્ટ પણ થશે કે તમે આંબલી એક્સપ્રેસમાં બેઠા છો. અન્ય શહેરોમાં પણ આવી રેસ્ટોરન્ટ શરૂ કરાશેરેલવેએ મહેસાણા અને ગાંધીધામમાં પણ આ પ્રકારની રેસ્ટોરન્ટ માટે કામ શરૂ કર્યું છે. અજય સોલંકી આ અંગે કહે છે કે, આંબલી સ્ટેશનની જેમ જ હાલમાં મહેસાણા અને ગાંધીધામમાં પણ આ પ્રકારની રેસ્ટોરન્ટ તૈયાર કરવા માટેની કામગીરી શરૂ કરાઇ છે. જેના પછી ન્યૂ ભૂજ અને ગાંધીનગરના સ્ટેશન ઉપર પણ આવી સુવિધા શરૂ કરાશે. છેલ્લે તેમણે કહ્યું કે, અત્યાર સુધી જ્યાં જ્યાં આવી રેસ્ટોરન્ટ બનાવવામાં આવી છે તે બધી જ જગ્યાએ લોકોને વેઇટિંગમાં બેસવું પડે છે એટલી ભીડ હોય છે. આશા છે કે અમદાવાદના લોકોને પણ આ ખૂબ જ પસંદ આવશે.

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 6:00 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ભારતીયોને તાત્કાલિક ઈરાન છોડવાની સલાહ, ઉત્તરાયણમાં 5 લોકોની જિંદગીની દોર કપાઈ, વિરાટ કોહલી પાંચ વર્ષ પછી ફરી નંબર 1

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઈરાનમાં સ્થિતિ બગડતા ભારતીયોને તાત્કાલિક નીકળી જવાની સલાહ સાથે જોડાયેલા રહ્યા. બીજા મોટા સમાચારમાં ઉત્તરાયણની ઉજવણી દરમિયાન ગુજરાતમાં 5 લોકોના મોત થયા હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી દિલ્હીમાં કોમનવેલ્થ સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ (CSPOC)નું ઉદ્ઘાટન કરશે. 2. એક્ટર વિજયની તમિલ ફિલ્મ ‘જન નાયકન’ની રિલીઝને લઈ સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. મદ્રાસ હાઇકોર્ટે રિલીઝ પર રોક લગાવી છે. કાલના મોટા સમાચારો 1. ઈરાનમાં સ્થિતિ બગડી, ભારતીયોને તાત્કાલિક નીકળી જવાની સલાહ:તેહરાનમાં એકસાથે 300 મૃતદેહોને દફનાવાશે; પ્રદર્શનકારીને જાહેરમાં ફાંસી અપાશે ઈરાનમાં હિંસક પ્રદર્શનોને કારણે ભારત સરકારે બુધવારે નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જે પણ ભારતીય નાગરિકો, પછી ભલે તે વિદ્યાર્થીઓ હોય, યાત્રાળુઓ હોય, વેપારીઓ હોય કે પ્રવાસીઓ, જેઓ હાલમાં ઈરાનમાં છે, તેમણે શક્ય તેટલી વહેલી તકે ત્યાંથી નીકળી જવું જોઈએ. આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે આ સલાહ 5 જાન્યુઆરીની અગાઉની એડવાઈઝરીની આગળની કડી છે અને ઈરાનની બદલાતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. સરકારે એ પણ પુનરાવર્તન કર્યું છે કે તમામ ભારતીય નાગરિકોએ સાવચેતી રાખવી જોઈએ. તેમણે વિરોધ પ્રદર્શનો અથવા ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ. વાંચો સંપૂર્ણ સમાચાર 2. કાશીમાં મણિકર્ણિકા ઘાટ તોડી પાડ્યો:લોકો બોલ્યા- જાણ કર્યા વિના અહિલ્યાબાઈની મૂર્તિ હટાવી; DMએ કહ્યું- મૂર્તિઓ સુરક્ષિત છે કાશીના મણિકર્ણિકા ઘાટને તોડવામાં આવી રહ્યો છે. અહીં નવેસરથી ઘાટ તૈયાર થશે, તેની ડિઝાઇન ફાઇનલ છે. મણિકર્ણિકા ઘાટને વર્ષ-1771માં લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલ્કરે બનાવ્યો હતો. પછી 1791માં તેમણે જ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. બુધવારે લોકોએ જ્યારે કાટમાળમાં અહિલ્યાબાઈની મૂર્તિ જોઈ, ત્યારે વિરોધ શરૂ કરી દીધો. તે જ સમયે, લોકોના વિરોધ પછી DM સત્યેન્દ્રએ કહ્યું- ઘાટની મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. તેમને સુરક્ષિત રાખવામાં આવી છે. કેટલાક લોકો AIથી ઘાટના ખોટા વીડિયો બનાવીને જાહેર કરી રહ્યા છે. આવા લોકોને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. વિરાટ કોહલી 5 વર્ષ પછી નંબર-1 વન-ડે બેટર બન્યો:રોહિત શર્મા ICC રેન્કિંગમાં ત્રીજા નંબર પર સરક્યો, ટૉપ-10માં 4 ભારતીય બેટર્સ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વર્ષની શરૂઆતમાં જ વન-ડે રેન્કિંગમાં નંબર વન બેટર બની ગયા છે. આ દરમિયાન જે રોહિત શર્મા આ પહેલા પ્રથમ સ્થાને હતો, તે હવે ત્રીજા સ્થાને સરકી ગયો છે. વિરાટે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં 93 રનની ઇનિંગ રમી હતી, જેનો સીધો ફાયદો તેને મળ્યો. વિરાટનું રેટિંગ હવે 785 થઈ ગયું છે. તે લાંબા સમય બાદ પ્રથમ ટોચના રેન્ક પર કબજો જમાવવામાં સફળ રહ્યા છે. તેને આ વખતે એક સ્થાનનો ફાયદો થયો છે. આ પહેલા તે બીજા સ્થાને હતો. 37 વર્ષીય વિરાટ જુલાઈ 2021 પછી પ્રથમ વખત ICC બેટિંગ રેન્કિંગમાં નંબર-1 પર પાછો ફર્યો છે. તેણે ઓક્ટોબર 2013માં પહેલીવાર ટોચનું રેન્કિંગ હાંસલ કર્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ઉત્તરાયણે બજાર ખુલતાં જ ચાંદીમાં 14 હજારનો ઉછાળો:3 દિવસમાં ભાવમાં 34 હજારનો વધારો થયો, સોનું પણ 1.42 લાખની ઓલ ટાઈમ હાઈ પર સોના-ચાંદીના ભાવ આજે (14 જાન્યુઆરી) સતત ત્રીજા દિવસે ઓલ ટાઈમ હાઈ પર છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, એક કિલો ચાંદીની કિંમત 14,145 રૂપિયા વધીને 2,77,175 રૂપિયા થઈ ગઈ છે. ગઈકાલે તેણે 2,63,032 રૂપિયાનો ઓલ ટાઈમ હાઈ પર હતી ત્રણ દિવસમાં ચાંદી 34 હજાર રૂપિયાથી વધુ મોંઘી થઈ ગઈ છે. જ્યારે, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,868 રૂપિયા વધીને 1,42,152 રૂપિયાના ઓલ ટાઈમ હાઈ પર ખુલ્યો છે. ગઈકાલે તેની કિંમત 1,40,482 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. 8 મહિના પછી તેજપ્રતાપની લાલુ ફેમિલીમાં વાપસી:દહીં-ચૂડા ભોજમાં પહોંચેલા લાલુએ કહ્યું- હવે તેઓ સાથે જ રહેશે, તેજપ્રતાપે કહ્યું- લાલુની અસલી પાર્ટી JJD તેજપ્રતાપે નિવાસસ્થાને દહીં-ચૂડા ભોજ રાખ્યો છે. લાલુ યાદવ આ ભોજમાં પહોંચ્યા છે. લાલુ યાદવે કહ્યું કે તેઓ તેજપ્રતાપથી નારાજ નથી. તેઓ પરિવાર સાથે જ રહે. તેજપ્રતાપના ભાજપમાં જવાના સવાલ પર કહ્યું કે પુત્રને હંમેશા આશીર્વાદ રહેશે. 8 મહિના પહેલા તેજપ્રતાપની ગર્લફ્રેન્ડ સાથેની તસવીર સામે આવ્યા બાદ લાલુએ તેજપ્રતાપને ઘર અને પાર્ટીમાંથી કાઢી મૂક્યા હતા. તેજપ્રતાપના દહીં-ચૂડા ભોજમાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ, મોટા મામા પ્રભુનાથ યાદવ, સાધુ યાદવ અને ચેતન આનંદ પણ પહોંચ્યા છે. હજુ સુધી તેજસ્વી-રાબડી આ ભોજમાં સામેલ થયા નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાતમાં ઉત્તરાયણે 5ની જિંદગીની દોર કાપી:બાયડ-ખંભાત અને જંબુસરમાં 3નાં ગળા કપાયા; વડોદરામાં દોરી-પતંગ પકડવા જતા એકનું અકસ્માતમાં તો બીજાનું કરંટ લાગતા મોત થયું ઉત્તરાયણ પર્વ ચાલી રહ્યો છે. લોકો ઘરના ધાબા અને બિલ્ડિંગની છત પર ચડીને પતંગબાજીની મોજ માણી રહ્યા છે. તેવામાં આ મજા કેટલાક માટે મોતની સજા બની રહી છે. રાજ્યમાં ત્રણ જગ્યાએ વાહનચાલકો અને વાહનમાં આગળ બેસેલા એક બાળક સહિત 3ના ગળા કપાતા કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે પતંગ પકડવાની લહાયમાં એક બાળક સહિત બે લોકોએ જિંદગી ગુમાવી છે. જેમાં એક બનાવમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીએ અરવલ્લીના બાયડ પાસે એક યુવકનું ગળું કાપતાં લોહીલુહાણ થયો હતો અને તેનું મોત થયું હતું. તેવી જ રીતે ભરૂચના જંબુસરમાં બાઈકસવાર યુવકનું ગળું કપાતાં તેની પણ મોત થયું હતું. વડોદરામાં પતંગ પકડવાની લહાયમાં એક 10 વર્ષના બાળક અને એક યુવક મળી બે લોકોના મોત થયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ચોરને પકડવા સુરત પોલીસનું MPમાં આર્મી સ્ટાઈલમાં ઓપરેશન:અથડામણના ભય હેઠળ બુલેટપ્રૂફ જેકેટમાં પહોંચી, વહેલી સવારે ચારેય બાજુથી ઘેર્યો; આંખ ખુલતા જ આરોપીને દબોચ્યો સુરતના સારોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગની ભીડનો લાભ ઉઠાવી સોનાના દાગીના સહિત 9 લાખની મત્તાની ચોરી કરી મધ્ય પ્રદેશના અંતરિયાળ ગામમાં છૂપાટેલા આરોપીને ગુજરાત અને MPની પોલીસે ઝડપી પાડ્યો છે. બોલિવૂડની એક્શન થ્રિલર ફિલ્મની જેમ પોલીસ બુલેટપ્રૂફ જેકેટ અને હથિયારો સાથે સજ્જ થઈ ચોરોના ગઢ ગણાતા 150 મકાનોના ગામમાં વહેલી સવારે 5:30 વાગ્યે ત્રાટકી હતી. વહેલી સવારે અગાસી પર નિરાંતે સૂતા ચોર અરૂણ ભણેરિયાને આંખ ખુલતાની સાથે જ બે રાજ્યોની પોલીસે તેની ધરપકડ કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : દાવો- લોરેન્સ ગેંગ ભારત સરકાર માટે કામ કરી રહી છે:કેનેડા પોલીસનો ગુપ્ત રિપોર્ટ સામે આવ્યો, જેમાં નિજ્જર હત્યાકાંડનો પણ ઉલ્લેખ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ટ્રમ્પના ટેરિફ પર અમેરિકી સુપ્રીમ કોર્ટનો નિર્ણય ટળ્યો:ટ્રમ્પે કહ્યું હતું- જો હારીશું તો અબજો ડોલર પાછા આપવા પડશે, દેશ બરબાદ થઈ જશે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : આર્મી ચીફે કહ્યું- શક્સગામ ઘાટી પર પાકિસ્તાન-ચીન કરાર ગેરકાયદેસર:ભારત તેને માનતું નથી; શક્સગામ 5180 ચોરસ કિમીનો વિસ્તાર, CPEC કોરિડોર અહીંથી પસાર થયો વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : 'આઝાદી હિંદુઓના ગળા કાપવાથી મળશે':લશ્કરી આતંકીની ધમકી; વાઇરલ વીડિયોમાં કહ્યું- કાશ્મીર મુદ્દાનો ઉકેલ માત્ર આતંકવાદ અને જેહાદથી જ આવશે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : રેલવન એપથી જનરલ ટિકિટ પર આજથી 3% ડિસ્કાઉન્ટ:નવી સ્કીમ 6 મહિના માટે લાગુ; R-વોલેટથી પેમેન્ટ કરવા પર 6%ની છૂટ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : રાજકોટમાં ન્યૂઝીલેન્ડે ભારતને 7 વિકેટથી હરાવ્યું:બીજી વન-ડેમાં ડેરીલ મિચેલની સદી, 3 મેચની સિરીઝ 1-1 થી બરાબરી પર આવી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ: હવે 'મંગળ' કાર્યો કરી શકાશે; ભીષ્મ પિતામહે ઉત્તરાયણ પર પ્રાણ ત્યાગ્યા હતા વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ભગવાન શિવને 60,000 થી વધુ કરચલાનો અભિષેક સુરતમાં આવેલા રામનાથ ઘેલા મહાદેવ મંદિરમાં પોષ અગિયારસે અનોખી ભક્તિ જોવા મળી. એક જ દિવસમાં ભગવાન શિવને 60,000 થી વધુ જીવતા કરચલા ચડાવવામાં આવ્યા. માન્યતા મુજબ, જે વ્યક્તિઓ કાનની ગંભીર બીમારીઓ કે શ્રવણ શક્તિને લગતી સમસ્યાઓથી પીડાતા હોય, તેઓ અહીં આવીને મહાદેવની માનતા રાખે છે. પોષ માસની અગિયારસના દિવસે આ માનતા પૂર્ણ કરવા માટે ભક્તો શિવલિંગ પર જીવતા કરચલા ચડાવે છે. ત્યારબાદ બધા કરચલાને સુરક્ષિત રીતે તાપી નદીમાં છોડી દેવામાં આવ્યા. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: સાઉદી અરેબિયાનો પૈસો, પાકિસ્તાનના પરમાણુ હથિયાર, તુર્કીની સેના, કેવી રીતે બની રહ્યું છે 'ઇસ્લામિક NATO'; ભારત માટે કેટલો મોટો ખતરો? 2. એક્સક્લૂસિવ કાઇટ ફેસ્ટિવલમાં વિદેશી પતંગબાજો આવતા નથી, તેમને બોલાવાય છે: સરકાર 4 સ્ટાર હોટલમાં રહેવા-જમવાની સુવિધા પણ આપે, આ વખતે 50 દેશોના લોકોએ ભાગ લીધો 3. સ્કાયલાઇનર્સ-3 : બીનોરી ગ્રુપ માટે હનુમાનજી કેમ ખાસ?: 'પપ્પાની રેતી-કપચીની દુકાન હતી, અમદાવાદમાં સપનેય ખ્યાલ નહોતો કે આટલી ઊંચી બિલ્ડિંગ્સ બનશે ને કરોડોમાં વેચાશે' 4. પ્રેમીએ આપેલું સાયનાઇડ પતિને પીવડાવવાનો પ્લાન બનાવ્યો: ઇન્ટરનેટથી માહિતી લીધી, 5 હજારમાં સોદો પાડી બોટલમાં ભેળવ્યો; મફતનો દારૂ પીવામાં અન્ય એક યુવક મરી ગયો 5. ગ્રાઉન્ડ રિપોર્ટ : મુસ્લિમોના એડમિશન પર વિવાદ, હિન્દુ વિદ્યાર્થીઓનો અભ્યાસ અટક્યો: વૈષ્ણો દેવી મેડિકલ કોલેજની માન્યતા રદ, સ્ટુડન્ટ્સ ઘરે પરત ફર્યા, નવા એડમિશનનું નક્કી નહીં કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ રાશિફળ ગુરુવારનું રાશિફળ:સિંહ જાતકોના આયોજિત કાર્યો સફળ થશે, કન્યા રાશિના લોકોને વેપારમાં મળશે નવી તકો; જાણો તમામ રાશિઓનું ભાગ્ય! વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 15 Jan 2026 5:00 am

અમેરિકા રશિયા-ઈરાન સહિત 75 દેશના નાગરિકોને નહીં આપે વિઝા, ટ્રમ્પનો મોટો નિર્ણય

US Visa Ban: અમેરિકાના વિદેશ મંત્રાલયે (સ્ટેટ ડિપાર્ટમેન્ટ) 75 દેશોમાંથી આવતી વિઝા અરજીઓની કામગીરી સંપૂર્ણપણે અટકાવી દીધી છે. આ દેશોમાં રશિયા, અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, નાઈજીરિયા અને બ્રાઝિલ જેવા દેશોનો સમાવેશ થાય છે. ટ્રમ્પ સરકારનો તર્ક છે કે, આ પગલા પાછળનું મુખ્ય કારણ એવા અરજદારો પર નજર રાખવાનું છે, જેમના અમેરિકામાં 'પબ્લિક ચાર્જ' (સરકારી સહાય પર નિર્ભર) બનવાની સંભાવના વધુ છે. આ પ્રતિબંધો 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યા છે અને તે અનિશ્ચિતકાળ સુધી અમલમાં રહેશે. અમેરિકાની સુરક્ષાને ધ્યાને રાખી લેવાયો નિર્ણય

ગુજરાત સમાચાર 14 Jan 2026 11:30 pm

આણંદમાં ઉત્તરાયણ પર્વે પતંગની દોરીથી 1 બાળકનું મોત:4 લોકો ઈજાગ્રસ્ત, 108 ટીમોએ તાત્કાલિક મદદ કરી

આણંદ જિલ્લામાં બુધવારે ઉતરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી કુલ 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે એક બાળકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાઓમાં 108 એમ્બ્યુલન્સની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને મદદ પૂરી પાડી હતી. બોરસદ તાલુકાના બદલપુર ગામે રહેતા કિશનભાઈ પરમાર પોતાના 8 વર્ષના બાળક ધવલને બાઈક પર બેસાડી બદલપુરથી રાલજ તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક પતંગનો દોરો વચ્ચે આવી જતાં ધવલના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે ખંભાત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આણંદના 45 વર્ષીય અશોકભાઈ રામભાઈ ઠાકોર જીટોડીયાથી વણસોલનો કૂવો મોગરી રોડ તરફ બાઈક લઈને જઈ રહ્યા હતા. ત્યારે અચાનક પતંગનો દોરો રસ્તા વચ્ચે આવી જતાં તેમને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. 108 એમ્બ્યુલન્સની જીટોડીયા ટીમના EMT કિંજલબેન રાઠોડ અને પાયલોટ તોસિફભાઈ વ્હોરા ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક સારવાર આપી તેમને કરમસદ મેડિકલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બીજા એક બનાવમાં, ખંભાતના બાજીપુરાના 23 વર્ષીય પુનમભાઈ મઈજીભાઈ પરમાર બાઈક લઈને કલમસર બાજીપુરા તરફ જતા હતા. ત્યારે દોરી વચ્ચે આવી જતાં તેમના નાકના ઉપરના ભાગે ઈજા થઈ હતી. તેમને ખંભાત જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં નાકના ભાગે તેમને 16 ટાંકા આવ્યા હતા. આણંદના સારસાના 35 વર્ષીય હિતેશભાઈ પ્રભાતભાઈ પઢીયાર મોગરથી વલીપુરા (સારસા સીમ) રોડ તરફ પોતાના બાઈક લઈને જતા હતા. અચાનક પતંગનો દોરો રસ્તા વચ્ચે આવી જતાં હિતેશભાઈને ગળાના ભાગે ઈજા થઈ હતી. 108 એમ્બ્યુલન્સ સારસાના EMT ધર્મેન્દ્રભાઈ ભોઈ અને પાયલોટ આતિશ જોષી ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક સારવાર આપી તેમને સિવિલ હોસ્પિટલ આણંદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વધુ એક બનાવ બોરસદના કિંખલોડ ગામે બન્યો હતો. કિંખલોડના રાહુલભાઈ પરમાર ગામથી બસ સ્ટેન્ડ તરફ પોતાનું બાઈક લઈને જતા અચાનક પતંગનો દોરો રસ્તા વચ્ચે આવી જતાં તેઓ પડી ગયા હતા અને તેમને માથાના ભાગે ઈજા થઈ હતી. 108 એમ્બ્યુલન્સ કિંખલોડના EMT મહેશભાઈ રોહિત અને પાયલોટ પ્રિતેશભાઈ પંડ્યા ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તને બોરસદ ખસેડ્યા હતા. ઉતરાયણના દિવસે જિલ્લામાં બનેલા આ બનાવોમાં 108 એમ્બ્યુલન્સની ટીમોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હતી અને તેમને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલોમાં ખસેડીને સમયસર મદદ પૂરી પાડી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 11:03 pm

નવસારીમાં મલયાલી સમાજે મકર જ્યોતિ કાર્યક્રમ ઉજવ્યો:500 લોકોએ સ્ટેશનથી રામજી મંદિર સુધી પરંપરાગત શોભાયાત્રા કાઢી

નવસારીમાં કેરળના મલયાલી સમાજના આશરે 500 લોકોએ મકર જ્યોતિ કાર્યક્રમની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સ્ટેશનથી રામજી મંદિર સુધી પરંપરાગત વાદ્યો સાથે એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મલયાલી સમાજના લોકોએ તેમના પરંપરાગત વાજિંત્રો અને ઢોલ, પહેરવેશ સાથે ભાગ લીધો હતો. શહેરના નાગરિકોમાં આ યાત્રા જોવા માટે ભારે કુતૂહલ જોવા મળ્યું હતું.મકર જ્યોતિ એ દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં આવેલા પ્રસિદ્ધ શબરીમાલા મંદિરનો એક પવિત્ર અને ચમત્કારિક ઉત્સવ માનવામાં આવે છે. દર વર્ષે મકર સંક્રાંતિના દિવસે લાખો શ્રદ્ધાળુઓ ભગવાન અયપ્પાના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરવા ઉમટી પડે છે. મકર સંક્રાંતિના પવિત્ર દિવસે, જ્યારે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે સાંજના સમયે શબરીમાલા મંદિરની સામે આવેલા પોન્નામ્બલમેડુ પર્વત પર એક તેજસ્વી પ્રકાશ દેખાય છે. આ દિવ્ય પ્રકાશને 'મકર જ્યોતિ' કહેવામાં આવે છે. શ્રદ્ધાળુઓ માને છે કે આ સાક્ષાત્ ભગવાન અયપ્પાના આશીર્વાદ છે. હિંદુ ધર્મમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે, પરંતુ શબરીમાલામાં આ દિવસ 'મકરવિલક્કુ' ઉત્સવ તરીકે ઉજવાય છે. મકર જ્યોતિના થોડા સમય પહેલા, પંડલમ પેલેસથી ભગવાન અયપ્પાના પવિત્ર ઘરેણાં (થિરૂવાભરણમ) એક ભવ્ય સરઘસ દ્વારા મંદિરે લાવવામાં આવે છે. આ ઘરેણાં પહેરાવ્યા બાદ જ આરતી થાય છે અને જ્યોતિના દર્શન થાય છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 10:29 pm

મોરબીમાં બાઇક સાઇડમાં ચલાવવા બાબતે યુવાનને માર માર્યો:કાર ચાલકે ગાળો આપી ફડાકો ઝીંક્યો, 6 સામે ફરિયાદ, જાનથી મારી નાખવાની ધમકી

મોરબીમાં કુળદેવી પાનથી સર્કિટ હાઉસ વચ્ચેના રસ્તા ઉપર બાઇક સાઇડમાં ચલાવવા બાબતે એક યુવાનને માર મારવામાં આવ્યો હતો. કાર ચાલકે ગાળો આપી ફડાકો ઝીંક્યા બાદ અન્ય ચાર શખ્સોએ પણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી, જે બાદ પોલીસે 6 શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વિદ્યુતનગર પાછળ, વિક્રમ વાડી, વોડાફોન ટાવર પાસે રહેતા મુકેશભાઈ ગોગજીભાઈ સુરેલા (ઉંમર 35) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે અહેમદ અનવરભાઈ માલાણી, મિતુલભાઈ રમેશભાઈ સનુરા, વસીમભાઈ અનવરભાઈ માલાણી, ઋતિકભાઈ રમેશભાઈ સનુરા (રહે. ચારેય કાંતિનગર, મોરબી) અને બે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરાવ્યો છે. ફરિયાદ મુજબ, મુકેશભાઈ કુળદેવી પાનથી સર્કિટ હાઉસ વચ્ચેના વળાંક પાસેથી પોતાનું બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે આરોપી અહેમદ માલાણી અને મિતુલભાઈ સનુરા GJ 1 WM 0004 નંબરની વર્ના કારમાં આવ્યા હતા. તેમણે બાઇકની સાઇડ કાપીને મુકેશભાઈને બાઇક સાઇડમાં ચલાવવા બાબતે ગાળો આપી હતી. અહેમદે મુકેશભાઈને ફડાકો પણ માર્યો હતો. ત્યારબાદ અહેમદે તેના ભાઈને ફોન કરીને બોલાવતા વસીમ સહિતના અન્ય ચાર શખ્સો ક્રેટા ગાડીમાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે મુકેશભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો. જતા પહેલા, આરોપીઓએ મુકેશભાઈને ધમકી આપી હતી કે 'આજે તો તું બચી ગયો છે, બીજી વાર ભેગો થયો તો જાનથી મારી નાખશું'. આ ઘટના બાદ ભોગ બનેલા યુવાને સારવાર લીધી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 10:11 pm

'મારા બાળકોને સાચવજો, સાસુ-પત્નીથી ત્રાસીને હું હવે જાઉ છું':વીડિયો કોલ પર પરિવારની નજર સામે યુવકે કેનાલમાં ઝંપલાવ્યું, પત્નીની જીદના કારણે 5 વર્ષથી સાસરીમાં રહેતો હતો

ગાંધીનગરના સાંતેજ પોલીસ મથકના ચોપડે એક હૃદયદ્રાવક ઘટના નોંધાઈ છે. જેમાં સાસરી પક્ષના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને એક 42 વર્ષીય યુવકે પોતાના જ ભાઈને વીડિયો કોલ કરી આપવીતી જણાવી કેનાલમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. આ મામલે મૃતકના નાના ભાઈએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં પત્ની, સાસુ, બે સાળીઓ અને બે સાળાઓ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. સમાજમાં ઘરકંકાસ અને સાસરી પક્ષના માનસિક ત્રાસના કિસ્સાઓ દિન-પ્રતિદિન ભયાનક વળાંક લઈ રહ્યા છે. આવો જ એક હૃદયદ્રાવક કિસ્સો અડાલજ નજીક ઝુંડાલ કેનાલ પર પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પત્ની અને સાસરી પક્ષના સતત ટોર્ચરથી કંટાળીને એક 42 વર્ષીય યુવકે પોતાના પરિવારને વીડિયો કોલ કરી તેમની નજર સામે જ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. પત્નીની જીદને કારણે 5 વર્ષથી ઘર છોડીને સાસરીમાં રહેતા હતાફરિયાદની વિગતો મુજબ, મૂળ વિસનગરના રાલીસણા ગામના વતની અને હાલ અમદાવાદના ચેનપુર વિસ્તારમાં રહેતા રાહુલભાઈ દલપતભાઈ રાવતે તેમના મોટા ભાઈ લક્ષ્મણભાઈ પરમાર (ઉં.વ. 42) ના મોતના મામલે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ લક્ષ્મણભાઈના લગ્ન વર્ષ 2011માં રાલીસણા ગામની જ સુમિત્રાબેન સાથે થયા હતા. લગ્ન બાદ થોડો સમય બધું બરાબર ચાલ્યું હતું. પરંતુ ત્યારબાદ સુમિત્રાબેન નાની-નાની બાબતોમાં ઝઘડા કરી અલગ રહેવા માટે દબાણ કરતા હતા. પત્નીની જીદને કારણે લક્ષ્મણભાઈ છેલ્લા 5 વર્ષથી ઘર છોડીને રાલીસણા ખાતે પોતાની સાસરીમાં જ રહેવા ગયા હતા. જોકે, લક્ષ્મણભાઈ જ્યારે પણ પોતાના વતનના પરિવાર કે ભાઈઓને મળતા ત્યારે પોતાની વ્યથા ઠાલવતા હતા. તેમણે પરિવારને જણાવ્યું હતું કે, સાસરીમાં રહેવા છતાં પત્ની સુમિત્રાબેન અને સાસુ નર્મદાબેન તેમને શાંતિથી રહેવા દેતા નથી. અવારનવાર પૈસાની માંગણી કરી તેમને હેરાન કરવામાં આવતા હતા. જો તેઓ પૈસા ન આપે તો તેમને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતા હતા. હું હવે થાકી ગયો છું, મારા સાસુ અને પત્ની મને જીવવા દેતા નથીગત તારીખ 23 ડિસેમ્બર, 2025ના રોજ આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. લક્ષ્મણભાઈએ સવારે તેમના ભાઈને ફોન કરીને રડતા-રડતા જણાવ્યું હતું કે, પત્ની અને સાસુએ પૈસા માટે ઝઘડો કર્યો છે. ફક્ત એટલું જ નહીં સાસરી પક્ષે તેમની સાળીઓ ઉર્મિલાબેન અને ગીતાબેન તેમજ રાજગઢથી બે કુટુંબી સાળાઓને બોલાવીને લક્ષ્મણભાઈ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને તેમને ગડદાપાટુનો માર માર્યો હતો. સાસરિયાઓએ ધમકી આપી હતી કે, જો તું પૈસા નહીં આપે તો તને તારા બાળકો પણ જોવા નહીં દઈએ. આ શારીરિક અને માનસિક ત્રાસ સહન ન થતા લક્ષ્મણભાઈ રાત્રિના સમયે અડાલજ નજીક ઝુંડાલ કેનાલ પાસે પહોંચ્યા હતા. તેમણે ત્યાંથી પોતાના ભાઈને વીડિયો કોલ કર્યો હતો. વીડિયો કોલમાં તેમણે કરુણતા સાથે જણાવ્યું હતું કે, હું હવે થાકી ગયો છું, મારા સાસુ અને પત્ની મને જીવવા દેતા નથી. હું આ ડગલું ભરી રહ્યો છું, મારા બાળકોને તમે સાચવજો. બે કુટુંબી સાળાઓ સહિત કુલ 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈજેના પગલે પરિવારજનો તેમને શોધવા માટે કેનાલ દોડી ગયા હતા. દરમ્યાન રાત્રિના અંધકારમાં મોબાઇલની લાઇટ દૂરથી દેખાઈ રહી હતી. પરંતુ પરિવારજનો મોબાઇલ લાઈટના અજવાળા તરફ પહોંચ્યા જ હતા ને લક્ષ્મણભાઈએ મોતની છલાંગ લગાવી દીધી હતી. જેમની લાશ સાંતેજ પોલીસ મથકની હદમાંથી મળી આવી હતી. આ ઘટના બાદ મૃતકના ભાઈની ફરિયાદને આધારે સાંતેજ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે પત્ની સુમિત્રાબેન, સાસુ નર્મદાબેન, સાળી ઉર્મિલાબેન, સાળી ગીતાબેન અને રાજગઢના બે કુટુંબી સાળાઓ સહિત કુલ 6 શખ્સો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા હેઠળ ઝીરો નંબરથી ગુનો દાખલ કરી વધુ તપાસ વિસનગર પોલીસ તરફે મોકલી આપી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 9:10 pm

​જૂનાગઢમાં બંગલા ગેંગના સાગરીતો હથિયારો સાથે ઝડપાયા:​પોલીસે સરગવાડામાં 5 હથિયાર અને 96 કારતૂસ સાથે રેડ પાડી 3 સાગરીતોની ધરપકડ, 4 ફરાર

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સંગઠિત ગુનાખોરી અને માથાભારે તત્વોના અસ્તિત્વને જડમૂળથી નાશ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા એક વિશેષ મિશન ચલાવવામાં આવી રહ્યું છે. આ કામગીરીના ભાગરૂપે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને લાંબો ગુનાહિત ઈતિહાસ ધરાવતી કુખ્યાત બંગલા ગેંગના પાંચ સભ્યો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કડક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગેંગના સભ્યો લાંબા સમયથી પોલીસને થાપ આપી નાસતા ફરતા હતા પરંતુ, જૂનાગઢ તાલુકા પોલીસે બાતમીના આધારે આ ગેંગના ત્રણ મહત્વના સાગરીતોને ઘાતક હથિયારોના મોટા જથ્થા સાથે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. બંગલા ગેંગના ફરાર આરોપીઓ અંગે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી​આ ગેંગના અસ્તિત્વને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ કે.એમ. પટેલ દ્વારા પાંચેય આરોપીઓના ગુનાહિત ઈતિહાસની ઊંડી તપાસ કરીને મજબૂત પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા હતા. આ તપાસ બાદ એક વિગતવાર રિપોર્ટ તૈયાર કરી જૂનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. રેન્જ આઈ.જી. નિલેશ જાજડિયા અને એસ.પી. સુબોધ ઓડેદરાના સીધા માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા ગુનેગારોને પકડવા માટે તાલુકા પોલીસ પી.આઈ. એફ.બી. ગગનીયા અને તેમની ટીમ સતત પેટ્રોલીંગ અને સર્વેલન્સમાં હતી. આ દરમિયાન પોલીસને સચોટ માહિતી મળી હતી કે, બંગલા ગેંગના ફરાર આરોપીઓ સરગવાડા ગામે કમલેશ લખમણ ભારાઈના રહેણાંક મકાનમાં આશરો લઈ રહ્યા છે. પોલીસે દરોડા દરમિયાન સમયસૂચકતા વાપરીને ત્રણ આરોપીઓને દબોચ્યા​બાતમી મળતાની સાથે જ પોલીસ સ્ટાફે સરગવાડા સ્થિત મકાન પર દરોડો પાડ્યો હતો. પોલીસની તપાસમાં એક ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે, આરોપીઓએ પોલીસ ધરપકડથી બચવા માટે અગાઉથી જ ઘાતક હથિયારોનો જથ્થો મંગાવી રાખ્યો હતો. પૂછપરછમાં એ વાતનો ખુલાસો થયો છે કે, જ્યારે પણ પોલીસ આ આરોપીઓને પકડવા માટે રેડ કરે ત્યારે પોલીસ ટીમ પર સીધું ફાયરિંગ કરી, જાનથી મારી નાખવાના ઇરાદે અથવા ગંભીર ઇજા પહોંચાડી નાસી જવા માટે આ હથિયારો મંગાવ્યા હતા. પોલીસે સમયસૂચકતા વાપરીને સ્થળ પરથી ત્રણ આરોપીઓ કમલેશ લખમણ ભારાઈ, વિશાલ કાના ભારાઈ અને જયેશ ઉર્ફે એભો મેરૂભાઈ ચાવડાની ધરપકડ કરી લીધી હતી, જ્યારે જયપાલ ખોડા બઢ અને ભરત ખોડા બઢ નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી 50 હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો​પોલીસે રેડ પાડી બે દેશી હાથ બનાવટના હથિયારો, બે દેશી તમંચા, એક દેશી પિસ્તોલ અને 96 નંગ જેટલા જીવતા કારતૂસ મળી પોલીસે ઘટના સ્થળેથી કુલ 50,800 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.હથિયારો ઉપરાંત પોલીસે ચાર તીક્ષ્ણ છરીઓ, હથિયાર સાફ કરવા માટેના સાધનો જેવા કે ફુલથ્રુ અને પીન તથા ત્રણ મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. આ સમગ્ર હથિયારોનો જથ્થો ગેંગના મુખ્ય આરોપીઓ ભાવેશ ઉર્ફે ભાવિન અને લાખા સાંગા હુણ દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે શોધખોળ હાથ ધરી​આરોપીઓના ગુનાહિત ઈતિહાસ પર નજર કરીએ તો ઝડપાયેલ જયેશ ઉર્ફે એભો મેરૂભાઈ ચાવડા વિરુદ્ધ હત્યા, લૂંટ અને પ્રોહિબિશન સહિતના કુલ 17 જેટલા ગંભીર ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂક્યા છે. તેમજ મુખ્ય આરોપી ભાવેશ ઉર્ફે ભાવિન ખોડા બઢ વિરુદ્ધ હત્યાની કોશિશ અને રાયોટિંગ સહિતના 11 ગુનાઓ છે, જ્યારે જાદવ ઉર્ફે લાખો સાંગા હુણ વિરુદ્ધ હત્યા અને આર્મ્સ એક્ટ જેવા 9 ગુનાઓ નોંધાયેલા છે. અન્ય આરોપીઓ વિશાલ અને જયપાલ વિરુદ્ધ પણ 01-01 ગુનો નોંધાયેલ છે. પોલીસ હાલ આ ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. જૂનાગઢ પોલીસ દ્વારા જાહેર જનતાને પણ કડક શબ્દોમાં અપીલ કરવામાં આવી છે કે, જે આરોપીઓ વિરુદ્ધ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યા હોય, તેમને જાણતા કે અજાણતા કોઈ પણ પ્રકારનો આશરો આપવો કે મદદ કરવી એ કાયદેસર રીતે ગંભીર ગુનો બને છે. જો કોઈ પણ વ્યક્તિ આવા ગુનેગારોને મદદરૂપ થશે તો તેમની વિરુદ્ધ પણ પોલીસ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરશે. આ સમગ્ર સફળ ઓપરેશનમાં એફ.બી. ગગનીયા સાથે એએસઆઈ સન્ની વાછાણી, હેડ કોન્સ્ટેબલ સુરેશ કારેથા, દેવેન ચાવડા, સમીર રાઠોડ અને તેમની આખી ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 9:02 pm

સોમનાથ મંદિરમાં મકરસંક્રાંતિએ સૂર્ય-ગૌપૂજા સહિત વિશેષ અનુષ્ઠાન:350થી વધુ ભક્ત પરિવારો ઓનલાઇન ગૌપૂજામાં જોડાયા

મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્યપૂજા અને ગૌપૂજા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સંક્રાંતિના પુણ્યકાળ દરમિયાન શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે વિશ્વ કલ્યાણ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવી હતી. ગૌપૂજામાં ટેક્નોલોજીનો સંગમમંદિર પરિસરમાં આયોજિત ગૌપૂજનમાં ટ્રસ્ટ સંચાલિત ગીર ગૌશાળાની ગૌમાતાનું વિધિવત પૂજન કરી ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પૂજન વિધિમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 350 થી વધુ ભક્ત પરિવારો ડિજિટલ માધ્યમથી ઓનલાઇન જોડાયા હતા. સોમનાથ ટ્રસ્ટના ઇનચાર્જ જનરલ મેનેજર દ્વારા સૂર્યનારાયણની આરાધના અને ગૌપૂજનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. મહાદેવને તલનો વિશેષ અભિષેક અને શ્રૃંગારમકરસંક્રાંતિના અવસરે સોમનાથ મહાદેવને જળ, દૂધ, દહીં અને સાકર સાથે તલ મિશ્રિત કરી વિશેષ અભિષેક કરવામાં આવ્યો હતો. સંક્રાંતિ કાળમાં તલનું વિશેષ મહત્વ હોવાથી આખો દિવસ પૂજનમાં સફેદ તલનો ઉપયોગ થયો હતો. સંધ્યાકાળે મહાદેવનો તલથી વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. તલનું શાસ્ત્રોક્ત અને આયુર્વેદિક મહત્વશાસ્ત્રોમાં તલને અત્યંત પવિત્ર અને ઔષધિય માનવામાં આવે છે. પુરાણોમાં ઉલ્લેખ: વિષ્ણુ પુરાણ, પદ્મ પુરાણ અને શિવપુરાણમાં તલના દાન અને ઉપયોગનું વિશેષ મહત્વ જણાવાયું છે. પિતૃકર્મ: બૃહન્નાર્દીય પુરાણ મુજબ પિતૃઓને તલ અને ગંગાજળ અર્પણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આયુર્વેદ: આયુર્વેદિક દ્રષ્ટિએ તલ વાત, પિત્ત અને કફના વિકારો દૂર કરનાર રોગનાશક ઔષધ છે. આ ધાર્મિક અવસરે દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 8:39 pm

ચંદ્રુમાણા શાળામાં ગૌરીવન ફરતે સંરક્ષણ દિવાલ:ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાન્ટથી ઉર્જા કુટીર પણ બનશે

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામમાં આવેલી પીએમશ્રી પ્રાથમિક શાળા ખાતે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાન્ટમાંથી ગૌરીવનની ફરતે પાકી સંરક્ષણ દિવાલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો હેતુ શાળાના પર્યાવરણને સુરક્ષિત કરવાનો છે. શાળાના આચાર્ય ગણેશભાઈ ડોડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, શાળામાં 50 બાય 90 ફૂટનું ગૌરીવન તૈયાર કરાયું છે. આ ગૌરીવનમાં વિવિધ પ્રકારની ઔષધીય વનસ્પતિઓ અને અન્ય વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે. 'સ્કૂલ ઓફ એક્સલન્સ' હેઠળ મળેલી ગ્રાન્ટનો ઉપયોગ કરીને આ ગૌરીવન ફરતે આકર્ષક ડિઝાઇનવાળી સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી રહી છે. આ દિવાલનું નિર્માણ પૂર્ણ થયા બાદ, તેના પર બાળકોને પેડાગોજી પદ્ધતિ મુજબ શિક્ષણ આપતા ચિત્રો અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓનું આલેખન કરવામાં આવશે. 'બાલા પ્રોજેક્ટ' અંતર્ગત બાળકોને નવીન જાણકારી મળી રહે તેવા શૈક્ષણિક ચિત્રો પણ દિવાલ પર દર્શાવવામાં આવશે, જે તેમને પ્રેરણા આપશે. આ ઉપરાંત, શાળાની ઓફિસના આગળના ભાગે 'ઉર્જા કુટીર'નું નિર્માણ પણ પ્રગતિમાં છે. આ કુટીર એક એવું સ્થળ હશે જ્યાં બાળકો અને શિક્ષકો એકસાથે બેસીને મુક્ત મને અભ્યાસલક્ષી ચિંતન કરી શકશે. આ 'ઉર્જા કુટીર'માં શિક્ષણના નવા પ્રવાહો, અભ્યાસક્રમ અને અન્ય શૈક્ષણિક બાબતો અંગે મુક્ત અને આત્મીયતાપૂર્વક ચર્ચા-વિચારણા થઈ શકશે, જે શૈક્ષણિક વાતાવરણને વધુ સુદૃઢ બનાવશે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 8:05 pm

સાબરકાંઠામાં ઉત્તરાયણની ઉજવણી:પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ, સાંજે આકાશમાં ચાઈનીઝ ટુક્કલ પણ જોવા મળ્યા

સાબરકાંઠા જિલ્લામાં, હિંમતનગર સહિતના વિસ્તારોમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન, પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરીને લોકોએ પતંગ ચગાવ્યા હતા. સાંજે આકાશમાં ફટાકડાની આતશબાજી બાદ ચાઈનીઝ ટુક્કલ પણ જોવા મળ્યા હતા. ઉત્તરાયણના દિવસે વહેલી સવારે હનુમાન ચાલીસા અને સાંજે ભક્તિમય ગીતો સાંભળવા મળ્યા હતા. દિવસભર પતંગબાજોએ આકાશમાં રંગબેરંગી પતંગો ચગાવ્યા હતા. એકંદરે, પવન સારો હોવાને કારણે સાંજના સમયે પણ પતંગ વધુ ચગ્યા હતા. મોડી સાંજે ફટાકડાની આતશબાજી અને આકાશમાં ઉડતા ટુક્કલથી વાતાવરણ વધુ ઉત્સાહપૂર્ણ બન્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 8:03 pm

હિંમતનગરમાં 38 પક્ષીઓ દોરીથી ઘાયલ:કરુણા અભિયાન અંતર્ગત 2 કબૂતરના મોત

હિંમતનગરમાં કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વ દરમિયાન દોરીથી ઘાયલ થયેલા 38 પક્ષીઓને બચાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં બે કબૂતરના મોત થયા હતા, જ્યારે અન્ય પક્ષીઓને સારવાર બાદ શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે. હિંમતનગર પશુપાલન હોસ્પિટલના ડૉ. બંકિમ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, બુધવારે સવારથી મોડી સાંજ સુધીમાં કુલ 38 પક્ષીઓ ઘાયલ અવસ્થામાં લાવવામાં આવ્યા હતા. આમાં મોટાભાગના કબૂતર હતા. જીવદયા પ્રેમીઓ દ્વારા લાવવામાં આવેલા આ પક્ષીઓની સારવાર અને જરૂર પડ્યે ઓપરેશન પણ કરવામાં આવ્યા હતા. ઘાયલ પક્ષીઓમાં એક બગલો, એક પોપટ અને 35 કબૂતરનો સમાવેશ થાય છે. સારવાર બાદ તેમને શેલ્ટર હોમમાં મોકલી દેવાયા હતા. આ ઉપરાંત, ઉત્તરાયણના દિવસે બપોરના સમયે બેરણા રોડ પર એક ઝાડમાં દોરીથી ફસાયેલા કબૂતરને સ્થાનિક યુવાનોએ બચાવ્યું હતું. સ્થાનિકોએ ઝાડ પર ફસાયેલા કબૂતરને જોઈને વાંસના વાંસડા વડે બચાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં એક યુવાન ઝાડ પર ચઢીને કબૂતરને નીચે ઉતારી લાવ્યો હતો. તેના પગમાં ફસાયેલી દોરી કાપવામાં આવી હતી, પરંતુ ગંભીર ઈજાઓ થતાં તેને મહાવીરનગર ચાર રસ્તા પરના જીવદયા કેન્દ્ર ખાતે વધુ સારવાર માટે પહોંચાડવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 7:59 pm

લુન્સીકુઈ સોસાયટીમાં કચરાના ઢગલામાં આગ:ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો

નવસારીના લુન્સીકુઈ વિસ્તારમાં આવેલી સ્નેહ સાગર સોસાયટીમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા જ નવસારી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગ કચરાના ઢગલામાં લાગી હોવાથી જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, સદનસીબે આગ કચરાના ઢગલા પૂરતી સીમિત રહી હતી, જેના કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી ફેલાયા હતા, જેનાથી સ્થાનિકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા. હાલમાં ફાયર વિભાગ આગને સંપૂર્ણપણે ઓલવવા અને તેને વધુ ફેલાતી અટકાવવા માટે સક્રિયપણે કામ કરી રહ્યું છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પ્રાથમિક આશંકા મુજબ, શોર્ટ સર્કિટ અથવા કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ફેંકવામાં આવેલી સળગતી બીડી-સિગરેટના કારણે આગ લાગી હોઈ શકે છે. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગના કારણની તપાસ હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 7:55 pm

હળવદમાં આપઘાતની બે ઘટના:પત્ની રીસામણે જતા યુવાનનો આપઘાત, પિતાના ઠપકાથી સગીરાએ જીવન ટૂંકાવ્યું

હળવદ તાલુકામાં બે અલગ-અલગ ઘટનાઓમાં યુવાન અને સગીરાએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. પત્ની રીસામણે જતાં એક યુવાને કેનાલમાં ઝંપલાવ્યું હતું, જ્યારે પિતાના ઠપકાથી નારાજ સગીરાએ ઝેરી દવા પી લીધી હતી. બંને ઘટનાઓમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રણમલપુર ગામની સીમમાં 17 વર્ષીય સગીરાએ ઝેરી દવા પીધીપ્રાપ્ત માહિતી અનુસાર, રણમલપુર ગામની સીમમાં ભરતભાઈ થડોદાની વાડીએ મજૂરી કામ કરતા રમેશભાઈ વેલીયાભાઈ નાયકની 17 વર્ષીય પુત્રી અમિષા ઉર્ફે વર્ષા નાયકે ગત 31 ડિસેમ્બરના રોજ બપોરના સુમારે ઝેરી દવા પી લીધી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સી.યુ. શાહ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, મૃતક સગીરા ઘરકામ કે ખેતીકામ કરતી ન હતી. આ બાબતે તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી લાગી આવતા સગીરાએ આ પગલું ભર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નવા ઘાટીલા ગામની સીમમાં કેનાલમાં કૂદીને 32 વર્ષીય યુવકનો આપઘાતબીજી ઘટનામાં, નવા ઘાટીલા ગામની સીમમાં કાંતિભાઈ પટેલની વાડીએ મજૂરી કામ કરતા મૂળ પંચમહાલ જિલ્લાના રહેવાસી શૈલેષભાઈ સવજીભાઈ બારૈયા (ઉં.વ. 32) એ પાણીની કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. મૃતકના માતા સુમિત્રાબેન સવજીભાઈ બારૈયાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, શૈલેષભાઈની પત્ની રીસામણે જતી રહી હતી. આ બાબતે તેમને મનોમન લાગી આવતા તેમણે ટીકર ગામની સીમમાં આવેલી પાણીની કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે આ અંગે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 7:23 pm

રાજકોટમાં મકરસંક્રાંતિ લોહિયાળ બની:સહકાર રોડ પર પ્રેમ પ્રકરણ - જૂની અદાવતમાં યુવાનની છરીના ઘા મારી હત્યા નિપજાવવામાં આવી

રાજકોટમાં મકરસંક્રાંતિના તહેવારના દિવસે જ હત્યાની ઘટના સામે આવી છે. શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર રોડ ઉપર રખડતું ભટકતું જીવન જીવતા યુવાનને એક મહિલા અને તેની સાથેના અન્ય શખ્સ દ્વારા છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. મર્ડરની ઘટના બનતા જ ભક્તિનગર પોલીસ મથકના પી. આઈ. સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પ્રેમ પ્રકરણ અને જૂની અદાવતમાં યુવાનની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર રોડ ઉપર રહેતા સાવન ગોસ્વામી નામના 45 વર્ષના આધેડને છરીના ઘા મારી દેવામાં આવ્યા હતા. જેથી લોહીલુહાણ હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે તબીબોએ તપાસી ગંભીર રીતે ઘાયલ આ યુવાનનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. હત્યાની ઘટનાની જાણ થતા જ ભક્તિનગર પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જે દરમિયાન પોલીસે કરેલી તપાસમાં સામે આવ્યું હતું કે આ યુવાન જૂની અદાવતમાં અને પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હતી. એક મહિલા અને તેની સાથેના અન્ય શખ્સ દ્વારા યુવાનને છરીના ઘા મારવામાં આવ્યા હતા. આ યુવાન પોતે જ ઝઘડો કરવા માટે મહિલા પાસે ગયો હતો અને આ દરમિયાન મહિલાએ અન્ય શખ્સ સાથે મળી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેથી પોલીસે મહિલા અને તેની સાથેના શખ્સને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 7:17 pm

હિમાલિયા સ્કાય ફ્લેટ ચોરી કેસ ઉકેલાયો:રૂપિયા 4.80 લાખની ઘરફોડ ચોરીમાં ઘરકામ કરતી મહિલા અને તેના પતિની ધરપકડ

ભાવનગર શહેરના હિમાલિયા મોલ નજીક આવેલા હિમાલિયા સ્કાય ફ્લેટમાં ઘરફોડ ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં ઘરકામ માટે રાખવામાં આવેલી મહિલાએ જ ઘરમાંથી રોકડ રૂપિયા અને કિંમતી સોનાના દાગીના મળી કુલ રૂ. 4 લાખ 80 હજારની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ગણતરીની કલાકોમાં મહિલા અને તેના પતિને 25 હજાર રોકડ અને બે સોનાના ચેઇન સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. 4.80 લાખની ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાઈ હતીભાવનગર શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ઘરફોડ ચોરીની ઘટના બની હતી. નિલમબાગ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હિમાલિયા મોલની બાજુમાં આવેલ હિમાલિયા સ્કાય ફ્લેટમાં રહેતા ફરિયાદી હાર્દિકભાઈ મહેશચંદ્રભાઈ કારેલીયાના ઘરે ઘરકામ માટે રાખવામાં આવેલી છાયાબેન સોલંકી પર ચોરીની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. તા. 10 ડિસેમ્બરથી આજદિન સુધીમાં ઘરમાંથી રોકડા રૂ. 2,60,000 તેમજ 2,20,000 સોનાના દાગીના ગુમ થયા હોવાની ગઈકાલ તા. 13 જાન્યુઆરીના રોજ છાયાબેન સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં નિલમબાગ પોલીસે ગણતરીની કલાકોમાં છાયાબેન ધર્મેશભાઈ સોલંકી અને તેના પતિ ધર્મેશભાઈ સોલંકીને મુદામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે પતિ-પત્ની બંનેની ધરપકડ કરીઆ બનાવમાં નિલમબાગ પોલીસ સ્ટેશના પીએસઆઇ મકવાણાએ ટેલિફોનિક વાતચીત જણાવ્યું હતું કે, છાયાબેન ધર્મેશભાઈ સોલંકી વિરુદ્ધ ચોરી અંગે ફરિયાદ નોંધી હતી. જોકે, તપાસ દરમિયાન આ બનાવમાં તેના પતિ ધર્મેશભાઈ સોલંકીની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં બન્ને પતિ-પત્નીને ઝડપી પાડ્યા હતા અને ગઈકાલના રોજ તેમને કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજુર થયા હતા. બે સોનાના ચેઇન બેંકમાં મૂકી મોરગેજ લોન લીધીઆવતીકાલ તા. 15 જાન્યુઆરીના રોજ સાંજે પૂર્ણ થશે. જેમાં તપાસ દરમિયાન બંને પાસેથી રોકડ રૂપિયા 25,000 હજાર અને 2 સોનાના ચેઇન કબ્જે કરવામાં આવ્યો છે અને અન્ય મુદામાલ અંગે પતિ-પત્નીની પૂછપરછ કરતા ચોરી કરેલ અન્ય બે સોનાના ચેઇન બેંકમાં મૂકી મોરગેજ લોન લીધી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે અન્ય મુદામાલ રિકવર કરવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 7:14 pm

ચાઇનીઝ દોરીથી યુવાન ગંભીર ઇજાગ્રસ્ત:પંચમહાલના દાવડા પાસે બાઇક અકસ્માત, આંખને ઇજા

પંચમહાલ જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કારણે એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. દાવડા ગામ પાસેથી પસાર થઈ રહેલા બાઇક સવાર યુવાનના ગળા અને મોઢાના ભાગે ધારદાર દોરી ફસાઈ હતી, જેના કારણે તેની આંખને ગંભીર ઇજા પહોંચી. યુવાનને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભોગ બનનાર યુવાન પોતાના ઘરેથી હાલોલ ખાતે આવેલી એમ.જી. મોટર કંપનીમાં નોકરી પર જઈ રહ્યો હતો. દાવડા ગામ નજીકથી પસાર થતી વખતે અચાનક આકાશમાંથી ઉતરી આવેલી ચાઇનીઝ દોરી તેના મોઢાના ભાગે આવી ગઈ હતી. ચાલુ બાઇકે દોરી વાગતા યુવાને વાહન પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચી. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, ઇજાઓ ગંભીર અને રક્તસ્ત્રાવ વધુ હોવાથી તેને તાત્કાલિક વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 6:50 pm

ગોધરામાં ઉતરાયણ પર ઘાયલ પક્ષી-પશુઓની સારવાર:કરુણા અભિયાન હેઠળ પશુ ચિકિત્સકોની ટીમ ખડે પગે

ઉતરાયણ પર્વ નિમિત્તે ઘાયલ પક્ષીઓ અને પશુઓની સારવાર માટે 'કરુણા અભિયાન' શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત પશુ ચિકિત્સકોની ટીમ ખડે પગે તૈનાત કરવામાં આવી છે. આ અભિયાનમાં જિલ્લા પશુપાલન વિભાગ અને વન વિભાગ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. વહેલી સવારથી જ ચિકિત્સકોની ટીમ દ્વારા ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. પતંગની દોરીથી કોઈ અબોલ જીવ ઘાયલ ન થાય અને જો થાય તો તેને તાત્કાલિક સારવાર મળે તે સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. વન વિભાગ દ્વારા ખાસ રેસ્ક્યુ ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આ માટે બે એનિમલ એમ્બ્યુલન્સ ખાસ રેસ્ક્યુ માટે ફાળવવામાં આવી છે. પાંચ પશુ ચિકિત્સકો અને પાંચ પશુ નિરીક્ષકોની ટીમ સતત સેવા આપી રહી છે. પશુ ડોકટરો સાથેની આ એમ્બ્યુલન્સ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 6:35 pm

દમણના દરિયા કિનારે કાઈટ ફેસ્ટિવલ 2026 યોજાયો:આકાશ પતંગોથી છવાયું; ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્ય ઉપરાંત વિદેશી પ્રવાસીઓ ઉમટ્યાં

સંઘપ્રદેશ દમણ અને દીવ પ્રશાસનના પર્યટન વિભાગ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે 'કાઈટ ફેસ્ટિવલ 2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં દમણનો દરિયાકિનારો રંગબેરંગી પતંગો અને પ્રવાસીઓથી ઉભરાઈ ગયો હતો. મોટી દમણના લાઈટ હાઉસ બીચ અને નાની દમણના છપલી શેરી બીચ ખાતે આયોજિત આ ફેસ્ટિવલમાં દેશ-વિદેશના સહેલાણીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યો ઉપરાંત વિદેશી પ્રવાસીઓએ પણ આ ઉત્સવમાં ભાગ લીધો હતો. પ્રશાસન દ્વારા 10 જેટલા નેશનલ કાઈટ ફ્લાયર્સને આમંત્રિત કરાયા હતા, જેમણે પોતાની કલાનું પ્રદર્શન કર્યું. આકાશમાં સામાન્ય પતંગોની સાથે વિશાળકાય કાર્ટૂન કેરેક્ટર સ્પંજબોબ, શાર્ક માછલી અને કેટરપિલર આકારના પતંગો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉત્તરાયણની મજા માણવા આવેલા પ્રવાસીઓએ પરંપરાગત ઊંધિયું, ચીક્કી અને તલના લાડુની લિજ્જત માણી હતી. સહેલાણીઓએ જણાવ્યું કે શહેરોમાં ઓછી જગ્યા હોવાને કારણે અહીં બીચ પર ખુલ્લા આકાશમાં પતંગ ચગાવવાની મજા કંઈક અલગ જ છે. પ્રવાસીઓના મતે, બીચ પર બાળકો માટે સલામતી રહે છે, ધાબા પરથી પડવાનો કે દોરી વાગવાનો ડર રહેતો નથી. ડીજેના તાલે પતંગ ચગાવવાનો આનંદ બેવડાય છે. યુરોપથી આવેલી એક સહેલાણીએ આ ફેસ્ટિવલને ખૂબ જ આનંદદાયક ગણાવ્યો હતો. દમણ પ્રશાસનના ટુરિઝમ વિભાગ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા વ્યાપક તૈયારીઓ કરાઈ હતી. સ્પર્ધકો અને સામાન્ય જનતા માટે 1000 જેટલી કાઈટ કિટ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. બીચ પર સ્ટેજ, સેલ્ફી પોઈન્ટ્સ, બેક ડ્રોપ બેનર્સ અને ફર્નિચર સાથેના સ્ટોલ્સ ઉભા કરાયા હતા. કાર્યક્રમમાં સાઉન્ડ સિસ્ટમ, લાઈટિંગ અને એન્કરિંગની પણ વ્યવસ્થા હતી. પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા, ભીડ નિયંત્રણ અને સ્વચ્છતા પર ખાસ ભાર મૂક્યો હતો. આમ, દમણનો કાઈટ ફેસ્ટિવલ 2026 પ્રવાસીઓ માટે એક યાદગાર અનુભવ બની રહ્યો.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 6:30 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ધાબા પર 'ઓ અમિતકાકા...ઓ અમિતકાકા'ની બૂમો, અમદાવાદીઓ એક જ દિવસમાં કરોડોનું ઊંધિયું અને ફાફડા-જલેબી ઝાપટી ગયા

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા દરરોજ અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન આપી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર પબ્લિશ કરવામાં આવે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 6:29 pm

દીવના ઘોઘલા બીચ પર પતંગ ઉત્સવની ઉજવણી:ઉના અને આસપાસના ગ્રામજનોએ દરિયા કિનારે પતંગ ચગાવી મજા માણી

ઉતરાયણ પર્વ નિમિત્તે દીવના ઘોઘલા બીચ પર પતંગ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દીવના સ્થાનિકો તેમજ ઉના અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં પતંગ ચગાવવા ઉમટી પડ્યા હતા. દરિયા કિનારે ઉછળતા મોજા અને લહેરો વચ્ચે પતંગબાજોએ ઉત્સાહભેર પતંગો ચગાવી હતી. સંગીતના તાલે અને 'કાઈપો છે'ની ચિચિયારીઓથી બીચનું વાતાવરણ જીવંત બની ગયું હતું. બપોરથી જ લોકો પોતાના પરિવાર સાથે નાસ્તો અને જમવાનું લઈને બીચ પર પહોંચી ગયા હતા. સાંજ સુધી પતંગ રસિયાઓએ પતંગ ઉત્સવની મજા માણી હતી, જેના કારણે બીચ પર જાણે પતંગ ફેસ્ટિવલ જેવો માહોલ સર્જાયો હતો. શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારોના લોકો ઉપરાંત પ્રવાસીઓએ પણ આ પતંગ ઉત્સવમાં ભાગ લીધો હતો, જે ઉતરાયણના પર્વ પ્રત્યેનો ઉત્સાહ દર્શાવે છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 6:23 pm

વડોદરામાં પતંગ પકડવાની લાહ્યમાં બેના મોત:વાઘોડિયામાં યુવકને કરંટ લાગ્યો, કરજણમાં કાર અડફેટે 10 વર્ષના બાળકનું મોત; તહેવાર માતમમાં ફેરવાયો

સંસ્કારી નગરી વડોદરામાં ઉત્તરાયણના પર્વની ખુશીઓ વચ્ચે એક કરૂણ ઘટના સામે આવી છે. શહેરના વાઘોડિયા રોડ પર ગાયત્રી મંદિર સામે પતંગની દોરી પકડવાના પ્રયાસમાં એક 33 વર્ષીય યુવકનું વીજ કરંટ લાગવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે સ્થાનિક વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. તો બીજી તરફ વડોદરા જિલ્લાના કરજણમાં પતંગ પકડવા ગયેલા 10 વર્ષના બાળકનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ 33 વર્ષીય શંકર રાઠવા નામનો યુવક કપાયેલી પતંગની દોરી પકડવા જઈ રહ્યો હતો, તે દરમિયાન અચાનક વીજ લાઈનના જીવંત તારને અડી જતાં તેને જોરદાર વીજ આંચકો (કરંટ) લાગ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા શંકરને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. ઉત્તરાયણના દિવસે વડોદરા શહેર જિલ્લામાં બે લોકોના મોત થયા છે. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તહેવારના દિવસે જ પરિવારનો મોભી ગુમાવતા રાઠવા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. માર્ગ અકસ્માતમાં 10 વર્ષના બાળકનું મોતવડોદરા જિલ્લાના કરજણ ખાતે પતંગ પકડવાની લાહ્યમાં એક માસૂમ બાળકનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું છે. 10 વર્ષીય હિમાંશુ કશ્યપ રસ્તા પર કપાયેલી પતંગ પકડવા દોડી રહ્યો હતો, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતી કાર સાથે તેની ટક્કર થઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા હિમાંશુને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. પતંગની ઘેલછાએ એક માસૂમનો જીવ લેતા પરિવારમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 6:02 pm

વેરાવળમાં રહેણાંક મકાનની છત પર આગ લાગી:ફાયર વિભાગની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી, સોલાર સિસ્ટમની બેટરી અને ઘરવખરીને નુકસાન

વેરાવળ શહેરની અલીભાઈ સોસાયટીમાં આજે બપોરે એક રહેણાંક મકાનની છત પર આગ લાગી હતી. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, વેરાવળ ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને વધુ નુકસાન થતું અટકાવવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, બપોરના અંદાજે અઢી વાગ્યાના સુમારે અલીભાઈ સોસાયટીમાં આવેલી મુસ્તફા મસ્જિદ નજીક ઈકબાલભાઈ બેલીમના મકાનની છત પરથી ધુમાડા નીકળતા જોવા મળ્યા હતા. થોડા જ સમયમાં આગ વધુ ફેલાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આગની જાણ થતાં જ વેરાવળ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. કોલ મળતાની સાથે જ LFM સુનીલકુમાર ચુડાસમા, DCO નરેન્દ્રસિંહ, FM વિજયભાઈ અને FM જીતેન્દ્રસિંહ સહિતનો ફાયર સ્ટાફ વોટર બ્રાઉઝર મિની ફાયર ફાઈટર (GJ-18-GB-9039) સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર સ્ટાફે પાણીનો મારો ચલાવી ટૂંકા સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. પ્રાથમિક તપાસમાં મકાનની છત પર આવેલા ઇલેક્ટ્રિક મીટર નજીક શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું અનુમાન છે. આગના કારણે છત પર લગાવવામાં આવેલી સોલાર સિસ્ટમની બેટરી અને કેટલાક ઘરવખરીના સામાનને નુકસાન થયું હતું. ફાયર વિભાગની ઝડપી અને અસરકારક કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. આસપાસના રહેવાસીઓએ ફાયર વિભાગની કામગીરીની પ્રશંસા કરી હતી. ફાયર વિભાગે શિયાળામાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના બનાવો વધતા હોવાથી નાગરિકોને ઇલેક્ટ્રિક વાયરિંગ અને મીટર સંબંધિત સુરક્ષા બાબતે ખાસ સાવચેતી રાખવા સૂચન કર્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 6:02 pm

પતંગ કપાઈ જતા હર્ષ સંઘવીએ ઠેકડો માર્યો:પરિવાર-કાર્યકર્તા સાથે અમિત શાહની ઉત્તરાયણ, જામનગર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

પરિવાર- કાર્યકર્તાઓ સાથે અમિત શાહની ઉત્તરાયણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરિવાર અને કાર્યર્તાઓ સાથે અમદાવાદમાં ઉત્તરાયણ ઉજવી.ત્રણ પતંગ કપાયા પછી અમિત શાહે પણ એક પતંગ કાપ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નેતા- સેલિબ્રિટીઝની ઉત્તરાયણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં ,નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં ઉત્તરાયણ મનાવી. તો પાલિતાણામાં રામાયણના રામ અરુણ ગવલી અને કપિલ દેવે પતંગબાજી માણી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત v/s ન્યુઝીલેન્ડ રાજકોટમાં આજે બેવડો ઉત્સાહ..નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત ન્યુઝીલેન્ડની બીજી વન ડે રમાઈ રહી છે. જો કે ઉત્તરાયણ હોવાથી સ્ટેડિયમમાં અંદાજિત 20000 લોકો જ પહોંચ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જામનગર એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જામનગર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. તાત્કાલિક એરપોર્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ક્રિકેટર હાર્દિક પંડ્યા એરપોર્ટથી નીકળ્યા બાદ ધમકીભર્યો મેલ મળ્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગોડાઉનના અભાવે મગફળીના થપ્પા લાગ્યા અમરેલીમાં ગોડાઉનના અભાવે 13 ખરીદ કેન્દ્રો પર મગફળીની બોરીઓના થપ્પા લાગ્યા. ટેકાના ભાવથી ખરીદી કરવાની અંતિમ તારીખ 17 જાન્યુઆરી છે. જેથી ખેડૂતોને પોતાનો માલ વેચાશે કે કેમ તેની ચિંતા પેઠી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સાહિલ માજોઠીનો વધુ એક વીડિયો વાયરલ રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફસાયેલા અને હાલ યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં રહેલા મોરબીના યુવાન સાહિલ માજોઠીનો નવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.વીડિયો કોલ પર વાત કરતા માતાએ દીકરાને હિંમત આપતા કહ્યું કે મોદી સરકાર તને જલદી ભારત પાછો લાવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફિલ્મી ઢબે આંખ ખૂલતાં જ ઉઠાવી લીધો સારોલીમાંથી 9 લાખની ચોરી કરનાર ચોરને સુરત પોલીસે મધ્યપ્રદેશના આંતરિયાળ ગામમાંથી ઝડપી પાડ્યો. બુલેટ પ્રુફ જેકટ અને હથિયારોથી સજ્જ પોલીસે ફિલ્મી ઢબે ચોરને તેની આંખ ખુલતાની સાથે જ ઉઠાવી લીધો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નજીવી બાબતમાં ક્રુરતાથી યુવકની હત્યા કરી વડોદરાના મકરપુરા ડેપો પાછળ આવેલા જશોદાનગરમાં એક યુવકની હત્યા કરાઈ. ભત્રીજીનો જન્મદિવસ ઉજવીને ઘરે જતા સમયે નાની બાબતમાં બોલાચાલી કરી લોખંડની જાળી સાથે ભટકાવી લાતો- મુક્કાઓ મારીને યુવકની હત્યા નીપજાવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો LCBએ 1.35 કરોડનો વિદેશી દારૂ ઝડપ્યો દાહોદ LCBએ 1.35 કરોડનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે..આઇસરના કન્ટેન્ટરમાં બબલ રોલની આડમાં દારુ છુપાવીને લઈ જઈ રહ્યા હતા. એલસીબીએ મધ્યપ્રદેશના બે લોકોની ધરપકડ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પતંગની દોરીએ બે યુવકની જિંદગીની દોર કાપી રાજ્યમાં પતંગની દોરીએ બે યુવકોનો ભોગ લીધો.. અરવલ્લીના બાયડમાં એક્ટિવા સવારનું અને જંબુસરમાં બાઈકચાલકનું ચાઈનીઝ દોરીથી ગળુ કપાતા મોત નીપજ્યું..બંને યુવકોના પરિવારોમાં શોકમો માહોલ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 6:00 pm

પાટણના નારાયણ મંદિરમાં ભગવાનને 3 કિલો ઘીના વાઘા:ઉત્તરાયણ પર્વે ગુજરાતના એકમાત્ર નારાયણ મંદિરમાં ભક્તો ઉમટ્યા

પાટણ સ્થિત ગુજરાતના એકમાત્ર નારાયણ મંદિરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ભગવાનને ઘીના વાઘા પહેરાવવામાં આવ્યા હતા. આ વર્ષે અંદાજે 3 કિલો ચોખ્ખા ઘીનો ઉપયોગ કરીને આ વાઘા તૈયાર કરાયા હતા. આ અનોખા દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પાટણ, જે તેના ઐતિહાસિક શિવ અને જૈન મંદિરો માટે જાણીતું છે, ત્યાં સમગ્ર ગુજરાતનું એકમાત્ર નારાયણ મંદિર આવેલું છે. અહીં દર વર્ષે ઉત્તરાયણના દિવસે ભગવાનને ઘીના વાઘા પહેરાવવાની પરંપરા છે. ભક્તોએ આ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ મંદિરનો ઇતિહાસ ઘણો રોચક છે. દિલ્હીમાં અકબરનું શાસન હતું ત્યારે બિરબલ દર પૂનમે દ્વારકાધીશના દર્શને જતા હતા. અકબરે ભગવાનની મૂર્તિને દિલ્હી લાવવાનું કહેતા, સેનાની એક ટુકડીને ગુજરાત મોકલી હતી. દ્વારકાધીશની મૂર્તિ લઈને જતું ગાડું પાટણ પહોંચ્યું અને રાત્રિ રોકાણ કર્યું. ભગવાન નારાયણે તે સ્થળે જ વાસ કરવાનું નક્કી કર્યું. સમય જતાં, મૂર્તિ જમીનમાં દટાઈ ગઈ. એક ભક્તને સ્વપ્નમાં ભગવાન નારાયણે ખોદકામ કરવાનું કહેતા, ત્યાંથી મૂર્તિ મળી આવી અને તેની સ્થાપના કરવામાં આવી. મૂર્તિ નિર્વસ્ત્ર હોવાથી, ભગવાનના કહેવા મુજબ ઘીના વાઘા પહેરાવવામાં આવ્યા. તે દિવસ ઉત્તરાયણનો હતો. ત્યારથી, આ પરંપરા અનુસાર દર વર્ષે ઉત્તરાયણના દિવસે ભગવાન નારાયણને ઘીના વાઘા પહેરાવવામાં આવે છે. આ વર્ષે પણ 3 કિલો ચોખ્ખા ઘીનો ઉપયોગ કરીને વાઘા તૈયાર કરાયા હતા, જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને આસ્થાભેર દર્શન કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 5:46 pm

જામનગરમાં ઉતરાયણની ધામધૂમપૂર્વક ઉજવણી:પતંગ રસિયાઓએ આકાશમાં પતંગોની રમઝટ બોલાવી, ઊંધિયા-જલેબીની મોજ

જામનગરમાં ઉતરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરભરમાં પતંગ રસિયાઓએ અગાશીઓ પરથી આકાશમાં પતંગોની રમઝટ બોલાવી હતી. યુવા વર્ગે ગીત-સંગીત સાથે પતંગ ચગાવવાની મોજ માણી હતી. ટેરેસ પરથી ઊંચી ચીચિયારીઓ સાથે ઉત્સાહભેર પતંગો કાપવામાં આવી હતી, જેના કારણે ઉત્સવનો માહોલ જીવંત બન્યો હતો. ઉતરાયણ પર્વ નિમિત્તે જામનગરના લોકો પતંગ ચગાવવાની સાથે ઊંધિયું અને જલેબીની પણ મજા માણે છે. આ પરંપરાને અનુસરીને, શહેરની બજારોમાં વેપારીઓ દ્વારા ઊંધિયાની વિવિધ વાનગીઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને, પતંગ ચગાવતી વખતે છત અને અગાશી પર રહેલા લોકો કાઠિયાવાડી ઊંધિયું સહિતની વાનગીઓ ખાવાનો આનંદ લેતા હોય છે. હાલમાં, જામનગરની બજારોમાં ઊંધિયું અને જલેબી જેવી વસ્તુઓનું ભારે વેચાણ જોવા મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 5:45 pm

બળાત્કાર-પોક્સોનો આરોપી યુપીથી ઝડપાયો:20 વર્ષની સજા બાદ પેરોલ જમ્પ કરી 10 મહિનાથી નાસતો ફરતો, વલસાડ પોલીસે સુલતાનપુરથી દબોચ્યો

બળાત્કાર અને પોક્સો એક્ટ જેવા ગંભીર ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા ભોગવી રહેલા અને પેરોલ રજા પરથી ફરાર થયેલા કેદીને ઝડપી પાડવામાં વલસાડ જિલ્લા પેરોલ-ફર્લો સ્કવોડને સફળતા મળી છે. આરોપી આલોક રામઅવતાર મિશ્રા પેરોલ જમ્પ કરી ઉત્તર પ્રદેશમાં છુપાયો હતો, જેને પોલીસ ટીમે બાતમીના આધારે ત્યાં પહોંચીને ઝડપી પાડ્યો છે. 10 દિવસની રજા મેળવી ફરાર થયો હતોસુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા કેદી આલોક મિશ્રાને ગત 4 March, 2024ના રોજ 10 દિવસની પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો. નિયમ મુજબ તેને 14 March, 2024ના રોજ જેલમાં પરત હાજર થવાનું હતું. જોકે, કેદી જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો. ત્યારથી વલસાડ પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સથી મળ્યું લોકેશનવલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ પેરોલ-ફર્લો સ્કવોડ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ સામંતસિંહ અને અલ્લારખુ આમીરભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લામાં છુપાયો છે. ટીમ સુલતાનપુર પહોંચી અને આરોપીને દબોચ્યોમાહિતીની પુષ્ટિ થયા બાદ વલસાડ પેરોલ-ફર્લો સ્કવોડની એક ટીમ તાત્કાલિક ઉત્તર પ્રદેશ મોકલવામાં આવી હતી. સ્થાનિક પોલીસની મદદ મેળવીને ટીમે સુલતાનપુર ખાતે દરોડો પાડી આરોપી આલોક મિશ્રાને ઝડપી લીધો હતો. પકડાયેલા આરોપીને વલસાડ લાવી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી બાકીની સજા કાપવા માટે ફરી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મોકલી આપવામાં આવ્યો છે. ગુનાની વિગતઆરોપી વિરુદ્ધ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 376(A)(B) તથા પોક્સો એક્ટની કલમ 5(I)(M) અને 6 હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગંભીર ગુનામાં કોર્ટે તેને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 5:42 pm

રાજકોટ સેશન્સ કોર્ટ બાદ હાઈકોર્ટે સાસરિયાઓને નિર્દોષ ઠેરવ્યા:લગ્નના 3 મહિનામાં દહેજનો ત્રાસ ને દોરીથી ગળું દબાવી પરિણીતાની હત્યા કરી, સાંપ કરડવાથી મોતનું તરકટ રચ્યું હોવાનો આક્ષેપ

પરિણીતાની હત્યા કરવાના આક્ષેપમાં સાસરીપક્ષના ચાર પુખ્ત ઉમરના અને એક સગીર આરોપી સામે વર્ષ 2001માં રાજકોટના જસદણ પોલીસ મથકે ફરિયાદ નોધાઇ હતી. જોકે, વર્ષ 2003માં રાજકોટ સેશન્સ કોર્ટે ચુકાદો આપતા આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા. જેની સામે સરકારે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જોકે, હાઇકોર્ટે પણ રાજકોટ સેશન્સ કોર્ટના ચુકાદાને માન્ય ઠેરવ્યો હતો. દોરીથી ગળું દબાવી પરિણીતાની હત્યાનો આક્ષેપકેસને વિગતે જોતા પરિણીતાના લગ્નને માત્ર 3 મહિના થયા હતા. જેમાં પરિણીતાને સાસરિયાના પતિ સહિત એક સગીરા માનસિક ત્રાસ આપતા હતા. તે દહેજ ના લાવી હોવાથી હેરાન કરતા હતા. આક્ષેપ મુજબ આરોપીઓએ ભેગા મળીને તેમના ફાર્મ ઉપર મૃતકને દોરીથી ગળું દાબી હત્યા કરી નાખી હતી. બાદમાં મૃતક મહિલાના પગે નીડલથી કાણા પાડી સાંપ કરડ્યો હોવાથી મૃત્યુ થવાનું જણાવ્યું હતું. તેમજ ગળે દોરીથી પડેલા નિશાન છુપાવવા ઉપર રૂમાલ નાખી દીધો હતો. પતિના બીજા લગ્ન કરવાની ધમકીઓ અપાતી હતીસરકારી વકીલે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, લગ્નના માત્ર ત્રણ મહિનામાં પરિણીતાનું મૃત્યુ નિપજ્યું હતું. તેનું ગળે ટૂંપો અપાતા મૃત્યુ નિપજ્યું હોવાનું મેડિકલ પુરાવામાં સામે આવ્યું છે. પરિણીતાના પિયરથી દહેજ ના મળતા તેના પતિના બીજા લગ્ન કરવાની ધમકીઓ તેને અપાતી હતી. હાઇકોર્ટે રાજકોટ સેશન્સ કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યોજોકે, કોર્ટે નોંધ્યું હતું કે, આ કેસમાં સાક્ષીઓ ફરી ગયા છે. લગ્નના પ્રાથમિક તબક્કાની આ તકરારો હોવાનું સાહેદોનું કહેવું છે. સરપંચનું કહેવું હતું કે મહિલાએ આત્મહત્યા કરી છે. પ્રોસિક્યુશન હત્યાનો હેતુ સાબિત કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. કેસ રિઝનેબલ ડાઉટ ઉપર સાબિત થઈ શક્યો નથી. જેથી હાઇકોર્ટે રાજકોટ સેશન્સ કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 5:29 pm

નવસારીમાં ઉત્તરાયણની ધૂમ, બપોર બાદ જામી જમાવટ:સવારે ધીમા પવન બાદ આકાશ પતંગોથી છવાયું, DJના તાલે ઉજવણી

નવસારીમાં મકરસંક્રાંતિ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. સવારે પવનની ગતિ ધીમી હોવા છતાં, બપોર બાદ પવન સાનુકૂળ બનતા આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. શહેરના મહોલ્લા અને એપાર્ટમેન્ટના ધાબા પર પતંગરસિયાઓએ DJના તાલે 'કાઈપો છે'ના નાદ સાથે ઉત્તરાયણની ધૂમ મચાવી હતી. રોજિંદા કામકાજમાં વ્યસ્ત રહેતા લોકો માટે ઉત્તરાયણનો તહેવાર પરિવાર અને મિત્રો સાથે મિલનનો અવસર બન્યો હતો. ધાબા પર સમૂહમાં પતંગ ચગાવતા કેતન સાળુંકેએ જણાવ્યું કે, અમે આખા વર્ષ દરમિયાન આ દિવસની રાહ જોતા હોઈએ છીએ. આજે કામ-ધંધાની ચિંતા છોડીને સૌ ભેગા થયા છીએ અને કોઈ પણ ભેદભાવ વગર આત્મીયતાથી પર્વની મજા માણી રહ્યા છીએ. ઉત્તરાયણ એટલે માત્ર પતંગ જ નહીં, પણ સ્વાદનો પણ સંગમ. નવસારીવાસીઓએ વહેલી સવારથી જ ફાફડા, જલેબી અને ખમણની જિયાફત માણી હતી. સ્થાનિક હેતલ જોષીએ જણાવ્યું કે, સવારનો નાસ્તો ફાફડા-જલેબી સાથે કર્યો અને બપોરે ઊંધિયું-પૂરી, ચીકી, બોર તથા તલના લાડુનો આનંદ લીધો. પવન સારો હોવાથી પતંગ ચગાવવાની બમણી મજા આવી રહી છે. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ, સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિ અને ઉત્તર દિશા તરફ ભ્રમણ કરે ત્યારે તેને 'ઉત્તરાયણ' કહેવામાં આવે છે. આ દિવસથી તમામ માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. આ પવિત્ર દિવસે ગંગા-નર્મદા જેવી નદીઓમાં સ્નાન અને જરૂરિયાતમંદોને તલ-ગોળનું દાન કરવાની પરંપરા છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, ઠંડીની મોસમમાં સૂર્યના સીધા કિરણોમાં પતંગ ચગાવવાથી શરીરને પૂરતું વિટામિન-D મળે છે, જે હાડકાના સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 5:22 pm

ગોધરામાં રખડતા પશુની અડફેટે યુવક ગંભીર ઇજાગ્રસ્ત:ગદુકપુર ચોકડી પાસે અકસ્માત, વડોદરા રીફર

ગોધરાના ગદુકપુર ચોકડી પાસે રખડતા પશુની અડફેટે એક બાઇક સવાર યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ ઘટનામાં યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા તાલુકાના મેહુલિયા ગામના રહેવાસી કિરણભાઈ કાંતિભાઈ (ઉંમર 40 વર્ષ) પોતાના બાળકો માટે જલેબી-ફાફડા લેવા બાઇક પર નીકળ્યા હતા. ગદુકપુર ચોકડી પાસેથી પસાર થતી વખતે અચાનક એક રખડતું પશુ બાઇકની સામે આવી ગયું હતું, જેના કારણે બાઇક પશુ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કિરણભાઈ બાઇક પરથી રોડ પર પટકાયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. તેઓ ઘટનાસ્થળે બેભાન થઈ ગયા હતા. અકસ્માત થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત કિરણભાઈને પ્રાથમિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, તેમની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 5:02 pm

હિંમતનગરમાં પૂર્વ ગૃહરાજ્યમંત્રીએ ઉત્તરાયણ પર્વ ઉજવ્યો:દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે મિત્રો સાથે પતંગ ચગાવ્યા

લક્ષદ્વીપ તેમજ દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. તેમણે પોતાના જૂના મિત્રો અને સ્થાનિક આગેવાનો સાથે પતંગ ચગાવીને આ તહેવારનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, પૂર્વ ધારાસભ્યો મહેન્દ્રસિંહ બારૈયા, અશ્વિન કોટવાલ અને મણીભાઈ વાઘેલા સહિતના અગ્રણીઓ અને મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને રંગબેરંગી પતંગો આકાશમાં ઉડાવીને પર્વની ખુશી વ્યક્ત કરી હતી. પ્રફુલ પટેલે આ અવસરે રાજ્યના લોકોને ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે પરંપરાગત તહેવારો સમાજમાં એકતા અને આનંદનો સંદેશ આપે છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:59 pm

આદિપુરમાં 19 જાન્યુઆરીએ બ્રહ્મસમાજની 111 દીકરીઓ પરિણય સૂત્રે બંધાશે:171 બટુકોની સમૂહ યજ્ઞોપવિત, હુંબલ પરિવારના સહયોગથી આયોજન; રમેશભાઈ ઓઝા આશીર્વચન પાઠવશે

આગામી 19 જાન્યુઆરીએ આદિપુર ખાતે બ્રહ્મસમાજના 111 યુગલોના સમૂહ લગ્ન યોજાશે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનની કન્યાઓ પરિણય સૂત્રે બંધાશે. દરેક કન્યાને બે લાખ રૂપિયાનું કરિયાવર આપવામાં આવશે. મુખ્ય દાતા ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવારના બાબુભાઈ હુંબલે અન્ય સમાજોની અનાથ દીકરીઓ માટે પણ સમૂહ લગ્ન કરાવવાનો સંકલ્પ લીધો છે. આયોજન અંગે ભુજ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં બાબુભાઈ હુંબલે જણાવ્યું હતું કે, આ સમૂહ લગ્નનો વિચાર દોઢ વર્ષથી ચાલી રહ્યો હતો. બ્રહ્મસમાજથી શરૂ થયેલી આ પહેલ ભવિષ્યમાં અન્ય સમાજો માટે પણ વિસ્તારવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, તેમના પરિવારનો ઉદ્દેશ્ય છેવાડાના વ્યક્તિ સુધી સેવા પહોંચાડવાનો છે. નવયુગલોને આશીર્વાદ આપવા માટે જાણીતા કથાકાર પૂ. રમેશભાઈ ઓઝા અને જિજ્ઞેશ દાદા સહિત દેશભરમાંથી સાધુ-સંતો ઉપસ્થિત રહેશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજરી આપે તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. કન્યાઓને દોઢ લાખના દાગીના સહિત કુલ બે લાખ રૂપિયાનું કરિયાવર આપવામાં આવશે. બ્રહ્મસમાજના અગ્રણી દિનેશભાઈ રાવલે જણાવ્યું હતું કે, લીલાશા કુટિયા ખાતે યોજાનાર આ સમારોહમાં 111 દીકરીઓના વૈદિક વિધિ સાથે લગ્ન થશે, ઉપરાંત 171 બટુકો યજ્ઞોપવિત ધારણ કરશે. લગ્ન કરનારી 111 દીકરીઓમાંથી 47 કચ્છની અને 55 કચ્છ બહારની છે. તેમણે આ આયોજનને રાષ્ટ્રીય સ્તરનું ગણાવતા કહ્યું કે, આ એક વિશિષ્ટ આયોજન છે જ્યાં દાતા પરિવાર સ્વયં બ્રહ્મસમાજ પાસે આવ્યો છે. સમૂહ લગ્નમાં આવનારા મહેમાનો માટે કટારિયા, ભચાઉ, ગાંધીધામ, આદિપુર અને અંજાર ખાતે 80 સમાજવાડીઓ બુક કરવામાં આવી છે. દિનેશભાઈ રાવલે દાતા પરિવારના બાબુભાઈ અને જખાભાઈ હુંબલ સહિતના સહયોગની સરાહના કરી હતી. પૂર્વ કચ્છ રાજગોર સમાજના પ્રમુખ હીરાલાલ રાજગોરે પણ આ અંગે પૂરક વિગતો આપી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:52 pm

નવસારી એજન્ટે વિયેતનામ ટૂરના નામે કરી છેતરપિંડી:મુંબઈની નિવૃત્ત શિક્ષિકાના 2.92 લાખ ઓળવી લીધા, ચેક બાઉન્સ થયા

નવસારીના એક ટ્રાવેલ્સ એજન્ટે વિયેતનામ ટૂરના નામે મુંબઈની નિવૃત્ત શિક્ષિકા સહિતના ગ્રુપ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. કુદરતી આફતને કારણે ટૂર રદ થયા બાદ પણ એજન્ટે નાણાં પરત ન કરતા ચેક બાઉન્સ થયા હતા. મુંબઈના દાદર વિસ્તારમાં રહેતા 60 વર્ષીય નિવૃત્ત શિક્ષિકાએ નવસારી પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે. શિક્ષિકા અને તેમના સખીએ વિયેતનામ ફરવા જવાનું આયોજન કર્યું હતું, જેના માટે તેમણે નવસારીના છાપરા રોડ પર આવેલી 'બિલ્સ હોલી' (Bills Holly) નામની ઓફિસના પ્રોપરાઇટર ધર્મેશ વસંતભાઇ દેસાઇનો સંપર્ક કર્યો હતો. શિક્ષિકા ટુકડે-ટુકડે ચેક અને IMPS દ્વારા રૂ. 1,45,672 ચૂકવ્યા હતા, જ્યારે તેમના સખીને ચેક અને RTGS દ્વારા રૂ. 1,46,543 ચૂકવ્યા હતા. આમ, માત્ર આ બે મહિલાઓએ કુલ રૂ. 2,92,215ની રકમ એજન્ટને આપી હતી. સપ્ટેમ્બર 2024માં વિયેતનામમાં કુદરતી આફતને કારણે પરિસ્થિતિ ગંભીર બનતા નેહાબેને ટૂર રદ કરવા જણાવ્યું હતું. એજન્ટ ધર્મેશ દેસાઇએ શરૂઆતમાં જાન્યુઆરીમાં જવાનું કહી વાયદા કર્યા, પરંતુ કોઈ બુકિંગ કરાવ્યું ન હતું. જ્યારે મહિલાઓએ પોતાના નાણાં પરત માંગ્યા, ત્યારે એજન્ટે વિશ્વાસમાં લઈ નેહાબેન અને સ્નેહલબેનને રૂ. 1.20 - 1.20 લાખના ચેક આપ્યા હતા. ગ્રુપની અન્ય ત્રણ મહિલાઓને પણ ચેક આપવામાં આવ્યા હતા. જોકે, 25 નવેમ્બર 2025ના રોજ આ ચેકો બેંકમાં જમા કરાવવામાં આવતા તમામ બાઉન્સ થયા હતા. વારંવારની ઉઘરાણી છતાં એજન્ટ નાણાં ચૂકવવામાં ઠાગાઠૈયા કરતો રહ્યો. આખરે કંટાળીને નિવૃત્ત શિક્ષિકાએ એજન્ટ ધર્મેશ વસંતભાઇ દેસાઇ (રહે. આશાનગર, નવસારી) વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:48 pm

વલસાડ ધારાસભ્ય ભરત પટેલે ગૌશાળામાં પૂજન કર્યું:મકર સંક્રાંતિ પર્વે ગૌસેવા કરી, યુવાનોને સુરક્ષાની અપીલ

સમગ્ર દેશમાં મકર સંક્રાંતિ અને ઉત્તરાયણનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પવિત્ર પર્વ નિમિત્તે વલસાડના ધારાસભ્ય ભરત પટેલે ગૌમાતાની સેવા કરીને ઉજવણી કરી હતી. તેમણે વલસાડની ગૌશાળાની મુલાકાત લીધી હતી, જ્યાં ગૌપૂજન કરીને ગાયોને ઘાસ અને ખોરાક ખવડાવ્યા હતા. ધારાસભ્યએ ગૌશાળાની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, ગૌમાતામાં કરોડો દેવી-દેવતાઓનો વાસ હોય છે અને હિન્દુ ધર્મમાં ગાયનું વિશેષ મહત્વ છે. તેમણે આશરે 50 વર્ષ જૂની આ ગૌશાળાના સંચાલકોની નિઃસ્વાર્થ સેવાને બિરદાવી હતી, જેઓ અંધ, અપંગ અને માંદી ગાયોની સંભાળ રાખે છે. ઉત્તરાયણના પર્વે આકાશમાં પતંગોની સાથે પક્ષીઓની સુરક્ષા માટે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે લોકોને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અને સ્વદેશી વસ્તુઓ અપનાવવા ભાર મૂક્યો હતો, કારણ કે ચાઈનીઝ દોરી પક્ષીઓ અને મનુષ્યો માટે જીવલેણ સાબિત થાય છે. તેમણે પતંગ ઉડાવતી વખતે અબોલ પક્ષીઓને નુકસાન ન થાય તેની તકેદારી રાખવા પણ અપીલ કરી હતી. ખાસ કરીને યુવાનોને અપીલ કરતા ધારાસભ્યએ જણાવ્યું કે, ઉત્તરાયણના દિવસોમાં પતંગની દોરીથી ગળું કપાવાની ઘટનાઓ વધતી હોય છે. તેનાથી બચવા માટે મોટરસાઇકલ કે દ્વિચક્રી વાહન પર સેફ્ટી ગાર્ડ (સળિયા) ચોક્કસ લગાવવા જોઈએ. પટેલ સમાજ અને અન્ય સંસ્થાઓ દ્વારા આશરે 500થી વધુ સળિયાનું વિતરણ કરવામાં આવ્યું છે. ધારાસભ્યએ લોકોને તેનો લાભ લઈ પોતાની જિંદગી સુરક્ષિત કરવા જણાવ્યું હતું. અંતમાં, તેમણે સૌને હર્ષોલ્લાસ સાથે અને સાવચેતીપૂર્વક મકર સંક્રાંતિ ઉજવવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:44 pm

ગાગોદર પોલીસે માર્ગ સલામતી માસની ઉજવણી કરી:જાગૃતિ માટે વાહનચાલકોને સલામતી સંદેશાવાળા પતંગ અપાયા

ગાગોદર પોલીસે ગાગોદર ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2026ની ઉજવણી કરી. આ ઉજવણી શીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન થીમ હેઠળ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ગાગોદર પોલીસ સ્ટેશનના સ્ટાફની ઉપસ્થિતિમાં ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અને માર્ગ સલામતી અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને, વાહનચાલકો અને નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે પતંગોનું વિતરણ કરાયું હતું. આ પતંગો પર ઓવરસ્પીડિંગ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ, અનઅધિકૃત પાર્કિંગ, સીટ બેલ્ટ અને હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ તેમજ દારૂ પીને વાહન ન ચલાવવા જેવા સલામતી સંદેશા લખેલા હતા. પોલીસે લોકોને માર્ગ સલામતીના નિયમો વિશે માહિતગાર કર્યા હતા અને સુરક્ષિત વાહન વ્યવહાર માટે નિયમોનું પાલન કરવા સમજાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:41 pm

ભાવનગરમાં મોહદ્દીસે આઝમ કોલેજ દ્વારા 20 વિદ્યાર્થીઓ સન્માનિત:જસ્ને દસ્તારે ફઝીલત અને હિફ્ઝો કિરાત કોન્ફરન્સનું આયોજન

ભાવનગરના મોતીબાગ ટાઉન હોલ ખાતે મોહદ્દીસે આઝમ અરબીક કોલેજના વિદ્યાર્થીઓ માટે જસ્ને દસ્તારે ફઝીલત અને હિફઝો કીરઅત અને અજમતે સહાબા અને અહલે બત્ય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોલેજ આંબાચોક, જુમ્મા મસ્જીદ પાસે આવેલી છે.કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મોહદ્દીસે આઝમ અરબીક કોલેજના સરબરાહે આ'લા પીરે તરીકત સૈયદ અબુબકર સિબ્લી અશરફ (કીછોછવી) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પીરે તરીકત સૈયદ સલમાન અશરફ, મુફ્તી અશરફરઝા સાહેબ બુરહાની, સૈયદ અબ્દુલ કાદીરબાપુ (જામનગર), ગુલામ સૈયદ અશરફી (અમદાવાદ), સૈયદ વસીમ બાપુ (જુમ્મા મસ્જીદ, ભાવનગર), કારી મહંમદ હનીફ અકબરી (ગોતરકા શરીફ) અને સૈયદ મોમીન બાપુ (અમીપરા મસ્જીદ, ભાવનગર) સહિતના આલીમ સાહેબો, મૌલાના સાહેબો, સૈયદ સાદાતો અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોહદ્દીસે આઝમ અરબીક કોલેજમાંથી દિની તાલીમ પૂર્ણ કરનાર કુલ 20 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ૧૦ આલીમ, ૫ હાફીઝ અને ૫ કારીનો સમાવેશ થાય છે. તેમને દસ્તાર બાંધી ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. પ્રસંગોચિત ઉદબોધન મશહુર આલીમ સાહેબો અને મૌલાના સાહેબો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ભાવનગર શહેરમાં મોહદ્દીસે આઝમ અરબીક કોલેજનું નવું વિશાળ બિલ્ડિંગ બનાવવાનો પ્રોજેક્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે મોહદ્દીસે આઝમ અરબીક કોલેજના મુદ્દતી મોહમ્મદ નિઝામુદ્દીન અશરફી મિસ્લાહી સહિતના આલીમ સાહેબો, મૌલાના સાહેબો, વરિષ્ઠ પત્રકાર કાળુભાઈ બેલીમ, ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:37 pm

પાટડીમાં બજરંગદળ-મહાકાલ ગ્રુપ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર:ઉતરાયણ પર્વ નિમિત્તે પ્રાથમિક સારવાર કેન્દ્ર શરૂ, 8 પક્ષીઓની સારવાર કરાઈ

પાટડીમાં બજરંગદળ અને મહાકાલ ગ્રુપ દ્વારા ઉતરાયણ પર્વ નિમિત્તે ઘાયલ પક્ષીઓની સારવાર માટે 'કરુણા અભિયાન' અને પ્રાથમિક સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 8 ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. આ કેન્દ્ર દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્યરત છે. પાટડી તાલુકામાં ક્યાંય પણ ઘાયલ પક્ષી દેખાય તો જાણ કરવા માટે 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. સેવાભાવી કાર્યકર્તાઓએ નગરના લોકોને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અપીલ કરી છે. પાટડી બજરંગ દળના આકાશ પંચાલે જણાવ્યું હતું કે, ઘાયલ પક્ષીઓ માટે 'કરુણા અભિયાન' અને પ્રાથમિક સારવાર કેન્દ્રનું આયોજન બજરંગદળ અને મહાકાલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. ઘાયલ પક્ષી દેખાય તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર 97731 37727 અથવા 95373 22728 પર જાણ કરવા જણાવાયું છે. આ ઉપરાંત, મહાકાલ ગ્રુપ દ્વારા એક કિલો દોરીની ગૂંચ આપનાર વ્યક્તિને 200 રૂપિયાનું રોકડ ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આજે ટીમે 60 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પરથી એક ઘાયલ કબૂતરને નીચે ઉતારી સફળતાપૂર્વક સારવાર આપી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:34 pm

DB REELS: આજે તો અમિત કાકાએ પતંગ કાપી:જુઓ અમિત શાહની 'કાઈપો છે; મોમેન્ટ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પરિવાર અને ભાજપ કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી હતી. ત્રણ પતંગ કપાયા બાદ અમિત શાહે એક પેચ કાપતા કાર્યકરો ગેલમાં આવી ગયા .. બાદમાં શાહે નિરાંતે ધાબા પર બેસી બોર -જામફળની મજા માણી હતી. રાજ્યભરમાં ઉત્તરાયણની કેવી ધૂમ મચી છે જુઓ વીડિયોમાં.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:15 pm

અટલાદરામાં બિલ્ડીંગ કામગીરી દરમ્યાન સોસાયટીની દીવાલ ધરાશાયી:રહીશોએ બિલ્ડર સામે આક્રોશ વ્યક્ત કર્યો, મોટી દુર્ઘટના ટળી

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આજે એક બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન કામગીરી દરમ્યાન બાજુની સોસાયટીની દીવાલ ધસી પડતાં મોટી દુર્ઘટના સર્જાતાં રહી ગઈ છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ દીવાલ પડતા સોસાયટીના રહીશોએ બિલ્ડર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. એકાએક દિવાલ ધરાશાયી થતાં સ્થાનિકોના જીવ પડીકે બંધાયાવડોદરા શહેરમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાતાં રહી ગઈ છે. શહેરના અટલાદરા વિસ્તારમાં પ્રમુખસ્વામી સોસાયટી પાસે બિલ્ડર દ્વારા બિલ્ડિંગ બનાવાની કામગીરી ચાલી રહી છે. દરમ્યાન એકાએક દિવાલ ધરાશાયી થતાં સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા ભારે હોબાળો મચ્યોઆ ઘટના બનતા સ્થાનિકો મોટી સંખ્યામાં સ્થળ પર પોહચ બિલ્ડર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટનામાં લોકો આક્રોશ વ્યક્ત કરતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આ બનાવને લઈ તાત્કાલિક ઘટના સ્થળે અટલાદરા પોલીસ દોડી આવી હતી. આ સમગ્ર મામલો પોલીસે લોકોની સાથે મળી થાળે પડ્યો હતો. સદનસીબે આ ઘટનામા કોઈ જાનહાનિ થઈ નથી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:13 pm

ચોરને પકડવા સુરત પોલીસનું MPમાં આર્મી સ્ટાઈલમાં ઓપરેશન:અથડામણના ભય હેઠળ બુલેટપ્રૂફ જેકેટમાં પહોંચી, વહેલી સવારે ચારેય બાજુથી ઘેર્યો; આંખ ખુલતા જ આરોપીને દબોચ્યો

સુરતના સારોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગની ભીડનો લાભ ઉઠાવી સોનાના દાગીના સહિત 9 લાખની મત્તાની ચોરી કરી મધ્ય પ્રદેશના અંતરિયાળ ગામમાં છૂપાટેલા આરોપીને ગુજરાત અને MPની પોલીસે ઝડપી પાડ્યો છે. બોલિવૂડની એક્શન થ્રિલર ફિલ્મની જેમ પોલીસ બુલેટપ્રૂફ જેકેટ અને હથિયારો સાથે સજ્જ થઈ ચોરોના ગઢ ગણાતા 150 મકાનોના ગામમાં વહેલી સવારે 5:30 વાગ્યે ત્રાટકી હતી. વહેલી સવારે અગાસી પર નિરાંતે સૂતા ચોર અરૂણ ભણેરિયાને આંખ ખુલતાની સાથે જ બે રાજ્યોની પોલીસે તેની ધરપકડ કરી હતી. શું છે સમગ્ર મામલો?ગત તા. 27 નવેમ્બર 2025ના રોજ ખોડલ ફાર્મ ખાતે બળવંત હડિયાના પુત્રના લગ્નનો ભવ્ય પ્રસંગ ચાલી રહ્યો હતો. લોકો લગ્નપ્રસંગમાં વ્યસ્ત હતા ત્યારે આરોપી અરૂણ ઉમેશકુમાર ભણેરિયા મહેમાન બની ત્યાં ત્રાટક્યો હતો. તેણે નજર ચૂકવી સોનાનું મંગળસૂત્ર અને વીંટીઓ ભરેલી આશરે 9 લાખની કિંમતની મત્તા ધરાવતો થેલો ચોરી લીધો હતો. આ ઘટના બાદ સુરત પોલીસ સક્રિય થઈ હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સુરતમાં ચોરી કરી આરોપી મધ્યપ્રદેશના ગામમાં છૂપાયોસારોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે જ્યારે સીસીટીવી તપાસ્યા ત્યારે તેમને એક ચહેરો વારંવાર શંકાસ્પદ જણાયો હતો. એ.એસ.આઇ ધનંજય અને સંજયને બાતમીદારો પાસેથી વિગતો મળી હતી કે, આરોપી મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના કડીયાસાસી ગામમાં છૂપાયેલો છે. આ ગામ સામાન્ય ગામ નથી પરંતુ એક એવો વિસ્તાર છે જ્યાં 150થી વધુ મકાનોમાં ઘરફોડ ચોરો રહે છે. જ્યારે પણ કોઈ રાજ્યની પોલીસ અહીં પગ મૂકવાની હિંમત કરે છે ત્યારે આખું ગામ એકઠું થઇને પોલીસ પર જીવલેણ હુમલો કરે છે. અથડામણના ભય હેઠળ બુલેટપ્રૂફ જેકેટમાં પોલીસ ગામમાં પહોંચીઆ માહિતી મળ્યા બાદ સુરત પોલીસે કોઈ રિસ્ક લેવાને બદલે એક પ્લાન બનાવવાનું નક્કી કર્યું અને ટીમ મધ્યપ્રદેશ માટે રવાના કરાઈ હતી. મધ્યપ્રદેશ પહોંચેલી સુરત પોલીસની ટીમે ત્યાંના બોડા પોલીસનો સંપર્ક કર્યો હતો. ગામની ભૌગોલિક સ્થિતિ અને ત્યાંના લોકોના આક્રમક સ્વભાવને ધ્યાનમાં રાખી પોલીસ બુલેટપ્રૂફ જેકેટ પહેરીને સજ્જ થવાનું નક્કી કર્યું હતું. કોઈપણ મોટી હિંસક અથડામણ થાય તો પણ આરોપી છૂટી ન જાય તે માટે વહેલી સવારે 5:30 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. અગાસીમાં નિરાંતે સૂતા આરોપીને ચારેય બાજુથી ઘેર્યોપોલીસની ગાડીઓ ગામની બહાર જ ઊભી રાખીને જવાનોએ પગપાળા ગામમાં પ્રવેશ કર્યો હતો. પોલીસના આ ઓપરેશનના દૃશ્યો જાણે કોઈ સાઉથની એક્શન ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય તે પ્રકારના હતા. આરોપી અરૂણ ભણેરિયા પોતાના ઘરની અગાસી પર નિરાંતે સૂતો હતો તે દરમિયાન જ પોલીસે ચારેય દિશામાંથી અગાસીને કોર્ડન કરી લીધી હતી. જેથી આરોપી પાસે ભાગવાનો કોઈ રસ્તો ન બચે. એક તરફ આરોપીને ઝડપી પાડવા પોલીસ તૈયાર હતી અને બીજી બાજુ ગામના અન્ય લોકો જાગી જાય તો મોટી અથડામણ થવાના ભય વચ્ચે પોલીસે આરોપીને ઘેરી લીધો હતો. આંખ ખુલતાની સાથે જ પોલીસે આરોપીને દબોચ્યોજેવી અરૂણની આંખ ખુલ્લી તેણે સામે ખાખી યુનિફોર્મ અને બુલેટપ્રૂફ જેકેટમાં સજ્જ પોલીસ જવાનોને જોયા અને તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચારેય બાજુએથી ઘેરાયેલો હોવાથી તેની પાસે શરણાગતિ સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. પોલીસે તેને દબોચી લીધો અને ગામના અન્ય લોકો જાગે તે પહેલા તેને સુરક્ષિત રીતે પોલીસ વાહનો સુધી પહોંચાડી દીધો હતો. ત્યાર બાદ પોલીસ આરોપીને બોડા પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને ત્યાંથી સુરતના સારોલી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. આરોપી લગ્નપ્રસંગમાં મહેમાન બની પહોંચીને ચોરી કરતોઆરોપી મોટા શહેરના આલીશાન પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગે એકદમ ઠાઠમાઠથી મહેમાન બની પહોંચી જતો હતો. જ્યારે વર કે કન્યા પક્ષના લોકો લગ્નની વિધિઓમાં વ્યસ્ત હોય અથવા જમાવાના કાઉન્ટર પર ભારે ભીડ હોય ત્યારે તે કિંમતી ઘરેણાં ભરેલા થેલાની ચોરી કરી લેતો હતો. તે અગાઉ મધ્યપ્રદેશના બોડા પોલીસ સ્ટેશન અને રાજસ્થાનના પ્રતાપઢગ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓમાં વોન્ટેડ રહી ચૂક્યો છે. તેની સામે વર્ષ 2018 અને 2024માં પણ ગંભીર કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. આરોપી પાસેથી રૂ. 9 લાખનો મુદ્દામાલ કબજે કર્યોડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, પોલીસે અરૂણ પાસેથી ચોરી કરેલો તમામ મુદ્દામાલ રીકવર કર્યો છે. જેમાં 22 કેરેટ સોનાનું મંગળસૂત્ર જેનું વજન 30.740 ગ્રામ છે અને તેની કિંમત 3.92 લાખ રૂપિયા છે. આ ઉપરાંત 18 કેરેટની સોનાની બે વીંટીઓ જેનું કુલ વજન આશરે 5.344 ગ્રામ છે અને તેની કિંમત 60,440 રૂપિયા જેટલી થાય છે. આ સોનાના દાગીના સાથે આરોપી પાસેથી 4.41 લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી છે. આમ, સુરત પોલીસે કુલ 9,07,669 રૂપિયાનો તમામ મુદ્દામાલ રીકવર કર્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:13 pm

સુરેન્દ્રનગરમાં સાવકી માતાએ પિતાની મિલકત પચાવી પાડી:પુત્રી ન્યાય માટે પોલીસવડાને રજૂઆત કરી, કાયદેસરનો પોતાનો ભાગ પરત અપાવવા માગ

સુરેન્દ્રનગરમાં એક પુત્રીએ તેના પિતાના અવસાન બાદ સાવકી માતા દ્વારા મિલકત પચાવી પાડવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે ન્યાય મેળવવા માટે પુત્રીએ સુરેન્દ્રનગર પોલીસવડા સમક્ષ રજૂઆત કરી છે. પુત્રીના જણાવ્યા અનુસાર, તેના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. પિતાના અવસાન પછી, સાવકી માતાએ તેમની તમામ મિલકત કથિત રીતે પચાવી પાડી હતી અને ત્યારબાદ તે ફરાર થઈ ગઈ હતી. આ ઘટના બાદ છેલ્લા છ મહિનાથી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ પુત્રીએ કર્યો છે. આખરે, પુત્રીએ સુરેન્દ્રનગર પોલીસવડાને લેખિત રજૂઆત કરીને પિતાની મિલકતમાં કાયદેસરનો પોતાનો ભાગ પરત અપાવવા માટે માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 3:58 pm

સુદામડા ગામે વિદેશી દારૂના કટિંગ પર પોલીસ ત્રાટકી:₹34.50 લાખનો દારૂ, વાહન સહિત ₹39.76 લાખનો મુદ્દામાલ જપ્ત

સાયલા તાલુકાના સુદામડા ગામે પોલીસે વિદેશી દારૂના કટિંગ પર દરોડો પાડી ₹34.50 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹39.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સુદામડા ગામની સીમમાં મોટા પાયે વિદેશી દારૂની હેરફેર થઈ રહી હોવાની બાતમી સાયલા PSI ડી.ડી. ચુડાસમાને મળી હતી. આ બાતમીના આધારે તેમની ટીમે દરોડો પાડતા બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની કુલ 2568 બોટલો, એક બોલેરો પિકઅપ ગાડી અને એક એક્ટિવા સ્કૂટર કબજે કર્યું હતું. જપ્ત કરાયેલા દારૂ અને વાહનો સહિત કુલ મુદ્દામાલની કિંમત ₹39,76,200 આંકવામાં આવી છે. આ મામલે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર, બોલેરો ચાલક અને એક્ટિવા ચાલક સહિત કુલ પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 3:55 pm

દક્ષિણ ગુજરાતમાં મકરસંક્રાંતિની અનોખી પરંપરા:'કર મુહૂર્ત'માં સોના-ચાંદીના તારથી બાળકોના કાન-નાક વીંધવાયા, મોંઘવારીની અસર દેખાઈ

​વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં મકરસંક્રાંતિના પવિત્ર પર્વ પર બાળકોના કાન અને નાક વીંધાવવાની વર્ષો જૂની પરંપરા આજે પણ એટલી જ જીવંત જોવા મળી રહી છે. ખાસ કરીને આ દિવસે 'કર મુહૂર્ત' હોવાથી સોના-ચાંદીના તારથી કાન-નાક વીંધાવવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ​પરંપરા અને વિજ્ઞાનનો સમન્વય​સ્થાનિક જ્વેલર પંકજભાઈએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં આ રિવાજ અત્યંત પ્રચલિત છે. મકરસંક્રાંતિના સમયગાળામાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે અને આ દરમિયાન તલ-ગોળ જેવા ખાદ્યપદાર્થોના સેવનથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે. માનવામાં આવે છે કે આ સંજોગોમાં વીંધેલા કાન કે નાકમાં જલ્દી રુઝ આવે છે અને ઈન્ફેક્શન થવાની શક્યતા ઓછી રહે છે. મોંઘવારીની સીધી અસર​જોકે, આ વર્ષે સોના-ચાંદીના ભાવમાં આવેલા તોતિંગ ઉછાળાની અસર આ પરંપરા પર પણ જોવા મળી રહી છે. જ્વેલર્સના જણાવ્યા અનુસાર, ​સોના-ચાંદીના ભાવ વધવાને કારણે વેપારમાં 30થી 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. ​ગ્રાહકો હવે નવું સોનું ખરીદવાને બદલે ભેટમાં આવેલી વસ્તુઓ લાવીને જ વીંધાવવાનું પસંદ કરી રહ્યા છે. ​નાની વસ્તુઓના ભાવ પણ 5થી 6 હજાર સુધી પહોંચી જતા સામાન્ય ગ્રાહક માટે ખરીદી કરવી મુશ્કેલ બની છે. વેપારીઓની આશા​વેપારીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે આગામી સમયમાં ભાવમાં થોડો ઘટાડો થાય, જેથી સામાન્ય માણસ પણ આ પરંપરાને હરખભેર જાળવી શકે અને ઝવેરાત બજારમાં ફરી તેજી આવે. મોંઘવારી છતાં પણ પોતાની સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યેની આસ્થાને કારણે લોકો મોટી સંખ્યામાં જ્વેલર્સની દુકાને પહોંચી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 3:51 pm

સુરતમાં ભગવાન શિવને એક દિવસમાં 60 હજારથી વધુ કરચલાનો અભિષેક:પોષ અગિયારસે ભક્તોનું ઘોડાપૂર, કાનની વ્યાધિ દૂર કરવા જીવતા કરચલા ચડાવવાની પરંપરા

તાપી નદીના પવિત્ર તટે વસેલું સુરત શહેર માત્ર હીરા અને ટેક્સટાઈલ માટે જ નહીં, પરંતુ તેના પૌરાણિક અને આધ્યાત્મિક વારસા માટે પણ જાણીતું છે. સુરતના ઉમરા વિસ્તારમાં આવેલું રામનાથ ઘેલા મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર છે. આ વિશ્વનું એકમાત્ર એવું મંદિર માનવામાં આવે છે જ્યાં ભગવાન શિવને પરંપરાગત બીલીપત્ર અને પુષ્પોની સાથે જીવતા કરચલા અર્પણ કરવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ વિશિષ્ટ પરંપરા પાછળ ઊંડી ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે, જે દર વર્ષે હજારોની સંખ્યામાં ભક્તોને અહીં ખેંચી લાવે છે. ભક્તો શિવલિંગ પર જીવતા કરચલા ચડાવેલોકમાન્યતા મુજબ, જે વ્યક્તિઓ કાનની ગંભીર બીમારીઓ કે શ્રવણ શક્તિને લગતી સમસ્યાઓથી પીડાતા હોય, તેઓ અહીં આવીને મહાદેવની માનતા રાખે છે. પોષ માસની અગિયારસના દિવસે આ માનતા પૂર્ણ કરવા માટે ભક્તો શિવલિંગ પર જીવતા કરચલા ચડાવે છે. આ પરંપરા પૌરાણિક કાળથી અખંડિત રીતે ચાલી આવે છે. ભક્તો માને છે કે અહીં કરચલા ચડાવવાથી શારીરિક પીડામાં રાહત મળે છે, જેને પગલે દર વર્ષે પોષ અગિયારસે અહીં ભક્તિનો મહેરામણ ઉમટી પડે છે અને વિશાળ મેળા જેવું વાતાવરણ સર્જાય છે. લોકમાન્યતા મુજબ મંદિરનો ઇતિહાસ શ્રી રામ સાથે જોડાયેલો આ મંદિરનો ઇતિહાસ પ્રભુ શ્રી રામ સાથે જોડાયેલો છે. પૌરાણિક કથા અનુસાર, વનવાસ દરમિયાન શ્રી રામ જ્યારે અહીં આવ્યા હતા, ત્યારે તેમણે પિતૃ તર્પણ વિધિ માટે શિવલિંગની સ્થાપના કરી હતી. પિતા દશરથના અવસાનના સમાચાર મળતા રામચંદ્રજી મૂંઝવણમાં હતા અને વિધિ માટે યોગ્ય બ્રાહ્મણની શોધમાં હતા. તે સમયે સમુદ્રદેવે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તેમની સહાય કરી હતી. આ ઐતિહાસિક અને ધાર્મિક પૃષ્ઠભૂમિને કારણે રામનાથ ઘેલા મંદિરનું મહત્વ શ્રદ્ધાળુઓના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. કાનની તકલીફ હોય તે કરચલાઓને અર્પણ કરવાની ભક્તોની શ્રદ્ધાજ્યારે ભગવાન રામ પિતૃ તર્પણ કરી રહ્યા હતા, ત્યારે સમુદ્રના મોજાંની સાથે અનેક જીવતા કરચલા શિવલિંગ પર આવી પડ્યા હતા. આ ઘટના બાદ ભગવાન રામે કરચલાઓને આજીવન શ્રાપમુક્ત કરીને વરદાન આપ્યું હતું કે, જે કોઈ ભક્ત કાનની તકલીફ અથવા કાનમાંથી રસી નીકળવા જેવી સમસ્યા સમયે અહીં કરચલા ચડાવશે, તેની વ્યાધિ દૂર થશે. આ કથાના પ્રભાવ હેઠળ આજે પણ હજારો ભક્તો શ્રદ્ધાપૂર્વક આ વિધિ કરે છે. જિગ્નેશ રાઠોડ નામના એક ભક્તે જણાવ્યું કે, તેમની પત્નીના કાનમાંથી રસી નીકળતી હોવાથી તેમણે રાખેલી માનતા ફળી છે અને તેઓ શ્રદ્ધાપૂર્વક અહીં કરચલા ચડાવવા આવ્યા છે. સવારના 5 વાગ્યાથી જ મંદિરમાં ભક્તોની લાંબી કતારપોષ અગિયારસના દિવસે વહેલી સવારના 5 વાગ્યાથી જ મંદિરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળે છે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લાખોની સંખ્યામાં શિવાભક્તો અહીં ઉમટી પડે છે. એક અંદાજ મુજબ, આ એક જ દિવસમાં શિવલિંગ પર 60,000 થી વધુ જીવતા કરચલા અર્પણ કરવામાં આવે છે. આ કરચલાઓને દક્ષિણ ગુજરાતની વિવિધ નદીઓના કિનારેથી મંગાવવામાં આવે છે, જેની કિંમત બજારમાં 100 થી 200 સુધીની હોય છે. ભક્તો આ જીવતા જીવોને થાળીમાં શણગારીને ભોગ તરીકે લાવે છે. હજારો કરચલાઓથી શિવલિંગ ઢંકાયુંમંદિરના મુખ્ય પૂજારી અશોક ભાઈ ગોસ્વામી આ પરંપરા વિશે જણાવે છે કે, શિવલિંગ પર જે રીતે બીલીપત્ર ચડાવવામાં આવે છે, તેટલી જ પવિત્રતાથી અહીં કરચલા અર્પણ કરાય છે. દિવસભર હજારો કરચલાઓથી શિવલિંગ ઢંકાઈ જાય છે. જોકે, જીવદયાનું ધ્યાન રાખતા મંદિર પ્રશાસન દ્વારા રાત્રિના સમયે આ તમામ કરચલાઓને એકત્ર કરી વિધિવત્ રીતે ફરીથી તાપી નદીમાં અર્પણ કરી દેવામાં આવે છે. આ વ્યવસ્થાને કારણે ધાર્મિક આસ્થાની સાથે જીવસૃષ્ટિનું સંતુલન પણ જળવાઈ રહે છે. કરચલા ચડાવવાની વર્ષોથી પરંપરા આધુનિક સમયમાં પણ વિજ્ઞાન અને તર્કથી પર જઈને લોકોની શ્રદ્ધા અવિચલિત રહી છે. મંદિરે આવતી મહિલા શ્રદ્ધાળુ ભૂમિકા પટેલે જણાવ્યું કે, આ મંદિરનો મહિમા અને કરચલા ચડાવવાની પરંપરા વિશે સાંભળીને તેઓ અહીં દર્શનાર્થે આવ્યા છે. દરેક વયના લોકો, બાળકોથી લઈને વૃદ્ધો સુધી, આ શિવલિંગમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે. લોકો માટે આ માત્ર પથ્થરનું શિવલિંગ નથી, પરંતુ રોગમુક્તિ અને આશીર્વાદ આપતું જીવંત દેવસ્થાન છે, જે વર્ષોથી અસંખ્ય લોકોની પીડા હરતું આવ્યું છે. કરચલાઓને રાત્રિના સમયે એકત્રિત કરીને તાપી નદીમાં અર્પણ કરાય છેદક્ષિણ ગુજરાતનો સમુદ્ર કિનારો નજીક હોવાથી રામનાથ ઘેલા મહાદેવના મંદિર માટે કરચલા સહેલાઈથી ઉપલબ્ધ થઈ જાય છે, જે શ્રદ્ધાળુઓની આસ્થાનું મુખ્ય કેન્દ્ર બને છે. પોષ અગિયારસના પવિત્ર દિવસે જ્યારે શિવલિંગ પર હજારોની સંખ્યામાં જીવતા કરચલાઓનો અભિષેક કરવામાં આવે છે, ત્યારે મંદિર પ્રશાસન દ્વારા એક પ્રશંસનીય પરંપરા જાળવવામાં આવે છે. દિવસભર ભક્તો દ્વારા ચડાવવામાં આવેલા આ તમામ કરચલાઓને રાત્રિના સમયે અત્યંત સાવચેતીપૂર્વક એકત્ર કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને વિધિવત્ રીતે તાપી નદીના ભરતીના પાણીમાં સુરક્ષિત રીતે અર્પણ કરી દેવામાં આવે છે. આ વ્યવસ્થાને કારણે ધાર્મિક આસ્થાની સાથે જીવદયાનો અભિગમ પણ સચવાય છે અને જીવતા કરચલાઓને ફરી તેમના કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવે છે. ભક્ત જિગ્નેશ રાઠોડએ જણાવ્યું હતું કે, મારા પત્ની માટે માનતા રાખી હતી. તેમના કાનમાંથી રસી નીકળતી હતી. મેં એવી માનતા રાખી હતી કે જો આ રસી નીકળતી બંધ થઈ જાય તો એમના માટે હું કરચલા ચડાવીશ. તેમને કાનમાંથી રસી નીકળતી બંધ થઈ ગઈ છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:55 pm

પ્રભાસ પાટણમાં માધાતા મહારાજનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો:મકરસંક્રાંતિ પર્વે કોળી સમાજે શોભાયાત્રા કાઢી ધ્વજારોહણ કર્યા

મકરસંક્રાંતિ પર્વે પ્રભાસ પાટણ ખાતે કોળી સમાજના ઇષ્ટદેવ માધાતા મહારાજનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો હતો. માધાતા ગ્રુપના આયોજન હેઠળ શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શોભાયાત્રાનો પ્રારંભ શાંતિનગરના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરથી થયો હતો. ઢોલ-નગારાના તાલે અને જય માધાતા મહારાજના નાદ સાથે યુવાનો, વડીલો અને મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં જોડાયા હતા. શોભાયાત્રા શાંતિનગરથી મોટા કોળી વાળા, દરજી વાળા, રામરાખ ચોક અને ભરડાપોળ જેવા માર્ગો પરથી પસાર થઈ હતી. તે રામદેવપીર ડેરી અને વેગડા ભીલ સ્થાનક ખાતે પહોંચી હતી, જ્યાં ધાર્મિક વિધિ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાના માર્ગ પર ફૂલો, ધાર્મિક ધ્વજો અને બેનરોથી શણગાર કરવામાં આવ્યો હતો. શ્રદ્ધાળુઓ માટે પાણી અને ઠંડા પીણાંની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં સ્વયંસેવકોએ સેવા આપી હતી. આ ઉજવણી દ્વારા સમાજમાં એકતા, સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાનું મહત્વ દર્શાવાયું હતું. વક્તાઓએ માધાતા મહારાજના જીવન અને તેમના માર્ગદર્શન પર પ્રકાશ પાડ્યો હતો. આવા કાર્યક્રમો યુવા પેઢીમાં સંસ્કાર અને સામૂહિક ભાવના વિકસાવવામાં મદદરૂપ થાય છે. કાર્યક્રમમાં માધાતા ગ્રુપના આગેવાનો, કોળી સમાજના અગ્રણીઓ, યુવાનો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મકરસંક્રાંતિનો આ પર્વ પ્રભાસ પાટણ વિસ્તારમાં ઉત્સાહભેર ઉજવાયો હતો.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:52 pm

છોટા ઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ પતંગ ચગાવ્યો:પરિવાર સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરી સૌને શુભેચ્છા પાઠવી

છોટા ઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ આજે પોતાના પરિવાર સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરી. તેમણે પતંગ ચગાવીને આ પર્વનો આનંદ માણ્યો હતો. દેશભરમાં મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વ નિમિત્તે નાના-મોટા સૌ કોઈ પતંગ ચગાવીને ઉત્તરાયણનો આનંદ માણે છે. આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવાએ લોકોને સુરક્ષિત રીતે અને પક્ષીઓની સુરક્ષાનું ધ્યાન રાખીને મકર સંક્રાંતિની ઉજવણી કરવા અપીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:50 pm

કાલોલના રીંછિયા આટામાં 7 વર્ષની બાળકીને પતંગ કાઢતા કરંટ લાગ્યો:ગંભીર રીતે દાઝી ગયેલી બાળકીને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રીંછિયા આટા ગામે એક 7 વર્ષની બાળકીને પતંગ કાઢતી વખતે વીજ કરંટ લાગ્યો હતો. ઝાડમાં ફસાયેલી પતંગ કાઢવાના પ્રયાસમાં બાળકી જીવંત વીજ વાયરના સંપર્કમાં આવી ગઈ હતી. ગંભીર રીતે દાઝી ગયેલી બાળકીને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મળતી માહિતી મુજબ, રીંછિયા આટા ગામના મંદિર ફળિયામાં રહેતી આ બાળકી આજે પોતાના ઘર પાસે પતંગ ચગાવી રહી હતી. પતંગ ચગાવતી વખતે તેની પતંગ નજીકના એક ઝાડમાં ફસાઈ ગઈ હતી. બાળકી જ્યારે ઝાડમાંથી પતંગ ખેંચીને કાઢવાનો પ્રયાસ કરી રહી હતી, તે જ સમયે પતંગનો દોરો નજીકમાંથી પસાર થતા હાઈટેન્શન જીવંત વીજ વાયરના સંપર્કમાં આવી ગયો હતો. વીજ વાયરના સંપર્કમાં આવતા જ બાળકીને જોરદાર વીજળીનો ઝટકો લાગ્યો હતો અને તે હાથના ભાગે ગંભીર રીતે દાઝી ગઈ હતી. ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હાલ તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:48 pm

પહેલા મારામારી અને પછી માફી માગી:વડોદરાના ઈન ઓર્બિટ મોલ પાસે યુવકે જાહેરમાં મારામારી કરી, પોલીસે ઝડપી પાડતા માફી માગીને કહ્યું: હું ખાતરી આપું છું કે આવી ભૂલ ફરી નહીં થાય

વડોદરાના ઈન ઓર્બિટ મોલ પાસે બે રાહદારીઓ વચ્ચે ધક્કામુક્કી તેમજ મારામારીની ઘટના બની હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેને પગલે ગોરવા પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. યુવકે પોલીસ સ્ટેશનમાં માફી માગીને કહ્યું: હું ખાતરી આપું છું કે આવી ભૂલ ફરી નહીં થાય. વડોદરાના ઈન ઓર્બિટ મોલ પાસે આવેલા પેટ્રોલપંપ નજીક ગઈકાલે મોડી રાત્રે થયેલી મારામારીનો વિડીયો વાયરલ થયો હતો. ગોરવા પોલીસની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને વીડિયોના આધારે આરોપીની ઓળખ કરી અને તેને ઝડપી લીધો હતો. ક્રિશ મનીશભાઈ મખીજા (ઉંમર 20 વર્ષ, રહે. 307, આર્કોન અણપ, રાત્રી બજાર પાછળ, વડોદરા)ની ગોરવા પોલીસે ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી ક્રિશ મખીજાએ પોલીસને જણાવ્યું હતું કે, હું ગેંડા સર્કલથી બાપુની દરગાહ તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એક વ્યક્તિ સાથે મારી બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ઝઘડો થયો હતો અને ધક્કામુક્કી પણ થઈ ગઈ હતી. આ ઘટના બદલ હું ખેદ વ્યક્ત કરું છું અને માફી માંગું છું. હું ખાતરી આપું છું કે આવી ભૂલ આગળથી ફરી નહીં થાય. ગોરવા પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ રાખી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:40 pm

રાત્રે રિચાર્જ કરાવવા નીકળ્યા ને અકસ્માતનો ભોગ બન્યા:મકરપુરા GIDCમાં મજૂરને પૂરપાટ વાહનચાલકે અડફેટે લીધો, ઘટચનાસ્થળે જ મોત; ચાલક એક્સિડન્ટ કરી ફરાર

વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ગત રાત્રે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં 50 વર્ષીય મજૂર પિતરભાઈ લાલસિંગ ડામોરનું અજાણ્યા વાહનની ટક્કરથી મોત નીપજ્યું છે. આ અંગે મૃતકની પત્નીએ પોલીસ મથકમાં ફરીદા બંધાવી છે. રિચાર્જ કરાવવા ગયા હતા ને અકસ્માતનો ભોગ બન્યાઆ અંગે મૃતકના પત્ની રમીલાબેનને નોંધાવેલ ફરિયાદ મુજબ પતિ પિતરભાઈ મહાબલી ઈન્ડસ્ટ્રીઝ કંપની શેડની સામે ફૂટપાથ પર ઝૂંપડામાં રહે છે અને છૂટક મજૂરી કરીને જીવન ગુજારે છે. તેઓનું મૂળ વતન રાજસ્થાનના કુશલગઢ તાલુકાના મસ્કા છોટા ગામ છે. ગઈકાલે રાત્રે તેમના પતિ પિતરભાઈ મોબાઈલમાં રિચાર્જ કરાવવા માટે ઘરેથી નીકળ્યા હતા. તે સમયે રમીલાબેન ઝૂંપડામાં જમવાનું બનાવી રહ્યા હતા. અચાનક એક રાહદારીએ તેમને જાણ કરી કે, મકરપુરા જીઆઈડીસીમાં એક્યુટેસ્ટ સિસ્ટમ પ્રાઈવેટ લિમિટેડના ગેટ સામે તેમના પતિનું અકસ્માત થયું છે અને તેઓનું મોત થયું છે. આરોપી અકસ્માત કરીને ઘટનાસ્થળેથી ફરારઆ બનાવની જાણ થતા જ રમીલાબેન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમના પતિ રોડ પર મૃત હાલતમાં પડ્યા હતા. તેમને માથાના કપાળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. આસપાસના લોકોએ જણાવ્યું કે અજાણ્યા વાહનચાલકે પુરઝડપે અને બેદરકારીથી વાહન હંકારીને પિતરભાઈને ટક્કર મારી હતી અને ત્યારબાદ ઘટનાસ્થળેથી નાસી ગયો હતો. હાલમાં આ ઘટના અંગે માંજલપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ પરિવારને સોંપવામાં આવશે. હાલામાં આ અકસ્માત સર્જી ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:38 pm