SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
... ...View News by News Source

ભાવનગર ત્રિપલ મર્ડર કેસમાં વનકર્મી યુવતીની ફરી પૂછપરછ કરાઈ:PM રિપોર્ટમાં ગૂંગળામણથી મોતનો ખુલાસો, આરોપી શૈલેષ ખાંભલાના રિમાન્ડ પૂર્ણ થતાં આજે કોર્ટમાં રજૂ કરાશે

5 નવેમ્બરે, 2025ના રોજ ભાવનગરની ફોરેસ્ટ કોલોનીમાં રહેતા ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) શૈલેષ ખાંભલાએ પત્ની, પુત્રી-પુત્રને તકિયાથી મોઢું દબાવી એક પછી એક ત્રણને મોતને ઘાટ ઉતારી દીધાં હતાં. ત્યાર બાદ ઘરથી 20 ફૂટ દૂર ખાડામાં મૃતદેહને દાટી દીધા હતા. આ સમગ્ર કેસમાં આરોપી શૈલેષ ખાંભલાના આજે સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત ત્રિપલ મર્ડર કેસમાં ભાવનગર પોલીસ દ્વારા 23 નવેમ્બરના રોજ વનકર્મી યુવતીને ફરી બોલાવી બીજી વખત પૂછપરછ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ ત્રિપલ મર્ડર કેસમાં ACF શૈલેષ ખાંભલાના પ્રેમ પ્રકરણનો પણ ખુલાસો થયો હતો. જેમાં એક વનકર્મી યુવતીનું નામ પણ સામે આવ્યું હતું. અગાઉ 18 નવેમ્બરના રોજ પોલીસ દ્વારા વનકર્મી યુવતીને બોલાવી પૂછપરછ કર્યા બાદ તેનું નિવેદન પણ લીધું હતું. ત્યારે બે દિવસ પહેલાં ફરી વનકર્મી યુવતીને બોલાવી પૂછપરછ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગૂંગણામળથી મોત થયાનો ખુલાસોસિટી DySP આર.આર. સિંઘાલે આરોપી શૈલેષ ખાંભલાની 4થી 5 વખત પૂછપરછ કરી હતી અને વનકર્મી યુવતીની પણ આ ગુનામાં કોઈ સંડોવણી છે કે નહીં તે બાબતે પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, આજે કોર્ટમાં મંજૂર થયેલા 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આરોપી શૈલેષ ખાંભલાને બપોરે કોર્ટમાં રજૂ કરાશે અને આ આરોપીની વધૂ પૂછપરછ માટે કોર્ટ પાસેથી કબજો લેવામાં આવશે. આ સાથે જ ગુનામાં જે PM રિપોર્ટ લેવામાં આવ્યો હતો તે આવી જતાં તેમાં ગૂંગળામણથી મોત થયું હોવાનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો છે અને સાથે વિશેરાનો FSL રિપોર્ટ સોમવાર સુધીમાં આવશે. પોલીસે રિમાન્ડ મેળવવા કોર્ટમાં 7 મુદ્દા રજૂ કર્યાભાવનગર ટ્રિપલ હત્યાકેસમાં તપાસનો ધમધમાટ વધુ તીવ્ર બન્યો છે. ભાવનગર પોલીસ દ્વારા 18 નવેમ્બરના રોજ આરોપી શૈલેષ ખાંભલાને રિમાન્ડ મેળવા કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપી શૈલેષ ખાંભલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. એને ધ્યાને લઈને પોલીસ હવે આ કેસમાં દરેક પાસાને ફંફોસી રહી છે. રિમાન્ડ મેળવવા માટે પોલીસ દ્વારા કોર્ટમાં 7 મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીનો વનકર્મી યુવતી સાથે 4 વર્ષથી પ્રેમસંબંધપોલીસની પૂછપરછમાં આરોપી શૈલેષ ખાંભલાને એક વનકર્મી યુવતી સાથે 4 વર્ષથી પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું છે. બંને વચ્ચે વર્ષ 2022થી વાતચીત થતી હતી અને ખાસ તો આ હત્યાનો બનાવ બન્યો એ પહેલાં-પછીના દિવસોમાં બંને વચ્ચે વાતચીત થઈ હતી. એને લઈને 18 નવેમ્બરની રાત્રિના વનકર્મી યુવતીને બોલાવી પોલીસ દ્વારા પૂછપરછ કરી તેનું નિવેદન લેવામાં આવ્યું હતું, જોકે પ્રેમપ્રકરણ મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. મૃતકોને ઝેરી પ્રવાહી પીવડાવીને મોતને ઘાટ ઉતાર્યા?આ સાથે જ આરોપી શૈલેષ ખાંભલાએ BSC-કેમિસ્ટ્રી કર્યું છે, જેથી તેણે મૃતકોને ઝેરી પ્રવાહી પીવડાવીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે કે નહીં એ માટે ઘટનાસ્થળે મૃતક પાસેથી મળી આવેલી લાલ રંગની બોટલની તપાસ માટે એફએસલમાં મોકલવવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત પરિવારને ખાડામાં દાટી ફિલ્ડ વિઝિટમાં તળાજા જતો રહ્યો હતો. આરોપી તળાજા જતી વખતે કપડાં શેત્રુંજી નદીમાં ફેંકીં દીધાં હતાં તેમજ તમામના ચપ્પલ એક થેલીમાં નાખી શહેરના દેસાઈનગર વિસ્તારમાં નાખી દીધા હતા. ગુનામાં આરોપી સાથે અન્ય કોઈની સંડોવણી?આરોપી શૈલેષ ખાંભલા પરિવારની હત્યા કરી શોધખોળના બહાને સુરત જતો રહ્યો હતો. આ હત્યાના ગુનામાં આરોપી સાથે અન્ય કોઈની સંડોવણી છે કે નહીં એની તપાસ ચાલી રહી છે. વધુ તપાસમાં પોસ્ટમોર્ટમ દરમિયાન ડોક્ટરે લીધેલાં કપડાં, કોટાસ્ટોન (પથ્થર) કપડાંમાં ભરી દીધા એના સેમ્પલ અને ઘટનાસ્થળેથી ઓશીકા, ચાદર સહિતનાં સેમ્પલ લેવામાં આવ્યાં છે. હાલ તમામ સેમ્પલ ભાવનગર પોલીસે કબજે કરી ગાંધીનગર અને જૂનાગઢ FSL લેબ ખાતે મોકલી આપ્યાં છે. કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાઆ જઘન્ય અપરાધમાં ગુનાના મૂળ સુધી પહોંચવું જરૂરી હોવાને લઈને ભાનવગર પોલીસ દ્વારા આરોપી શૈલેષ ખાંભલાના 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી, જેમાં કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, એટલે કે તારીખ 25 નવેમ્બરના બપોરના 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. શેતાન શૈલેષે પત્ની અને પુત્ર-પુત્રીને પતાવી દીધાં, જાણો ભાવનગરમાં ACFના ઘરમાં શું શું થયું? તારીખ: 5 નવેમ્બર, 2025સ્થળ: ફોરેસ્ટ કોલોની, ભાવનગરસમય: સવારના 7.00થી 8.00 ભાવનગરમાં આવેલા કાચના તળાવ સામે આવેલી ફોરેસ્ટ કોલોની પાસે 6 નવેમ્બરે થોડી ચહલપહલ હતી. આમ તો અવાવરૂ જેવી આ જગ્યામાં ખાસ કોઈની અવરજવર જોવા મળતી નથી, પરંતુ એ દિવસે ત્યાં અચાનક માટીનાં ડમ્પર આવે છે. આ દરમિયાન એક બીટ વનરક્ષક ફોરેસ્ટ વિભાગના ક્વાર્ટર પાછળ આવેલા ખાડા તરફ જવા લાગ્યો, પરંતુ સામેથી અચાનક જ અવાજ આવ્યો... તમે અહીં આવતા નહીં, મારો પગ સાપ પર દેવાઈ ગયો છે અને એ કરડી જશે, જોકે તે વ્યક્તિનો સાપ પર પગ નહોતો આવ્યો, પણ એક ખતરનાક ખૂની ખેલને છુપાવવા માટેની માત્ર એક ટ્રિક હતી. 5 નવેમ્બર, 2025ની સવાર હતી. હજુ તો સૂરજ દાદા ઊગી રહ્યા હતા અને ફોરેસ્ટ કોલોનીમાં શાંતિ છવાયેલી હતી અને ઘણા લોકો ઊંઘમાં હતા. બરાબર આ જ સમયે ફોરેસ્ટ વિભાગના સ્ટાફ ક્વાર્ટરમાં એક ખતરનાક ષડ્યંત્રને અંજામ આપવાની તૈયારીઓ થઈ રહી હતી. આ તૈયારીઓ બીજા કોઈએ નહીં, પણ એક વર્ષ પહેલાં જ પ્રમોશન લઈને ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) બનેલા શૈલેષ ખાંભલાએ કરી હતી. આગળ જતાં આ ભયંકર અને ધ્રુજાવી દેનારી ઘટના સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનવાની હતી. શૈલેષ ખાંભલાના પરિવારમાં પત્ની નયના, પુત્ર ભવ્ય અને પુત્રી પૃથા હતાં, જોકે તેઓ સુરતમાં રહેતાં હતાં, પરંતુ બાળકો અને પત્ની દિવાળી વેકેશનમાં 27 ઓક્ટોબરના રોજ ભાવનગર ખાતે આવ્યાં હતાં. શૈલેષ ઘરમાં જેવી પત્ની અને સંતાનોની એન્ટ્રી થઈ એ સાથે નયના અને શૈલેષ વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા. 4 દિવસ સુધી દંપતી વચ્ચે ખૂબ માથાકૂટો ચાલી, જેથી શૈલેષમાં છુપાયેલા એક શેતાનનો જન્મ થઈ ગયો. 5 નવેમ્બરની સવારે બન્ને પતિ-પત્ની બેડમાં સૂતાં હતાં ત્યારે લગભગ સવારના 7 વાગ્યા હતા. આ સમયે બન્ને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો. આ ઝઘડો એટલી હદે વધ્યો કે તેના બેડ પર પડેલા તકિયો લઈ શૈલેષે પત્ની નયનાનું મોઢું દબાવી દીધું. થોડીવારમાં જ નયના નિશ્ચેતન થઈને બેડ પર કાયમી માટે ઊઘી ગઈ. ત્યાર બાદ અલગ રૂમમાં ઊંઘી રહેલાં તેનાં પુત્ર-પુત્રીના રૂમમાં પહોંચ્યો, શૈલેષ પર હવે હેવાન સવાર થઈ ગયો હતો અને તે કંઈપણ વિચાર કરવાની ક્ષમતા ગુમાવી ચૂક્યો હતો. તેણે રૂમમાં જઈ પહેલા પુત્ર ભવ્ય(9 વર્ષ)નું મોં તકિયાથી દબાવી દીધું અને પછી દીકરી પૃથા(13 વર્ષ)નો પણ એ જ રીતે જીવ લઈ લીધો. ત્રણેયની લાશ નિકાલ કરવા પ્લાનિંગ ઘડ્યું. 8.30 વાગ્યે ખેલ પૂરો કરી દીધો7 વાગ્યે વહાલસોયા સંતાનો અને પત્નીને પતાવી દીધાં બાદ તેણે ત્રણેયની લાશનો નિકાલ કરવાનું પ્લાનિંગ ઘડી કાઢ્યું. આ પ્લાનિંગ મુજબ તેણે અગાઉ ખાડા તો ખોદાવી જ રાખ્યા હતા, પરંતુ હવે એમાં લાશ મૂકવા અને પછી એને દાટવા માટેનો પ્લાન બનાવ્યો. શૈલેષે એક બાદ એક ત્રણેયની લાશને ક્વાર્ટરથી માત્ર 20 ફૂટના અંતરે ફોરેસ્ટના સ્ટાફ પાસે ખોદાવેલા ખાડામાં બન્નેના મૃતદેહ નાખી દીધા. હવે તેણે ઘડિયાળ તરફ નજર કરી તો તે 8.30નો સમય બતાવતી હતી. ડેડબોડી ખાડામાં નાખી દીધા બાદ માથે ગાદલું અને એક બારણું પણ નાખી દીધું. શેતાન બનેલો શૈલેષ આટલું કામ પતાવી ઘરેથી નીકળી ગયો. તે ભાવનગરમાં જ હતો, પણ ઘરે ન આવ્યો. ત્યાર પછી તે 7 નવેમ્બરે ભરતનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો, જ્યાં તેણે પત્ની, પુત્ર અને પુત્રી ગુમ થયાંની જાણવા જોગ નોંધાવી. તે 12 નવેમ્બર સુધી નોકરી પર જતો હતો અને 12 તારીખ બાદ રજા મૂકીને સુરત ગયો. પોલીસે આ જાણવા જોગના આધારે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી, જેમાં પત્ની નયનાબેન, દીકરી પૃથા તથા દીકરો ભવ્યના ફોટો-આધાર કાર્ડ વગેરે માહિતી મેળવી ભાવનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં વાયરલેસ મેસેજથી મોકલી આપવામાં આવ્યો હતો. સિક્યોરિટીએ કહ્યું, મેં તો તેમનાં પત્ની કે બાળકોને જોયાં નથી8 નવેમ્બરના રોજ ગુમ થયેલાં નયનાબેનનો મોબાઇલ નંબરના સીડીઆર મગાવવામાં આવ્યા. આ દરમિયાન ACF શૈલેષ ખાંભલાએ ભરતનગર પોલીસ સ્ટેશન જઈને જણાવ્યું કે તેની પત્ની અને બાળકો એક રિક્ષામાં ગયાં હોવાનું સિક્યોરિટીએ જણાવ્યું હતું. ત્યાર બાદ પોલીસે સિક્યોરિટીની પૂછપરછ કરતાં બાળકો કે પત્નીને જોયાં ન હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ ફોરેસ્ટ કોલોનીમાં આવેલા ઘર બહારના સીસીટીવી, સરકારી સીસીટીવી કેમેરામાં પણ નજરે ન ચડતાં પોલીસે શૈલેષ ખાંભલા પાસે તેની પત્ની જે મોબાઈલ ઘરે મૂકી જતાં રહ્યાં હતાં એના પર આવેલા મેસેજનો સ્ક્રીનશોટ મગાવી એમાં મેસેજમાં જણાવેલી બાબત અંગે પરિવારના અન્ય સભ્યોની વધુ પૂછપરછ કરી હતી. મેસેજ ડ્રાફ્ટમાં જ પડ્યો રહ્યો ને શૈલેષનું કામ તમામ થઈ ગયુંશૈલેષે વાઈફના મોબાઈલમાંથી એક મેસેજ પણ કર્યો, જેમાં તે બીજા સાથે રહેવા માટે જાય છે એવી વાત લખી હતી, જોકે આ મેસેજ કોઈને સેન્ડ થયો નહીં, કારણ કે ફોન એરોપ્લેન મોડમાં જ હતો. આ મેસેજમાં લખેલી ભાષા તથા પત્નીના જૂના મેસેજની ભાષા સરખાવતા એ મિસમેચ આવ્યો હતો. એના આધારે પોલીસને પતિ પર શંકા પડી અને આખો કેસ ઉકેલી લીધો હતો. પોલીસે RFOને પૂછ્યું ને એક બાદ એક રહસ્યો ખૂલવા લાગ્યાંઆ સાથે જ પતિ શૈલેષ ખાંભલા શંકાના દાયરામાં આવતાં પોલીસે તેનો મોબાઈલ ટ્રેસ કરી એમાં ગુમ થયેલી તારીખથી લઈ આજ સુધીની કોલ ડિટેઇલમાં કોઈ એક વ્યક્તિ સાથે વધુ વાર વાત થયાનું જણાઈ આવતાં તે નંબરની વ્યક્તિની પોલીસે પૂછપરછ કરતાં અમિત વાણિયા હોવાનું સામે આવ્યું. તેઓ ફોરેસ્ટમાં જ આરએફઓ તરીકે ફરજ બજાવે છે અને 2 નવેમ્બરના રોજ શૈલેષ ખાંભલા દ્વારા પોતાના ઘર પાસે પાણી તેમજ કચરો ભરવા માટે ખાડાઓ કરી આપવા જણાવ્યું હતું. 2 નવેમ્બરે ખાડા કરવા સૂચના આપી, પછી માટી નખાવીત્યાર બાદ 15 નવેમ્બરના રોજ RFO ગિરીશ વાણિયાનું નિવેદન લેવામાં આવ્યું, જેમાં તેમણે જણાવ્યું કે શૈલેષે તેના ક્વાર્ટર પાસે 2 નવેમ્બરે માણસો અને જેસીબી દ્વારા ખાડા કરાવી આપવા સૂચના આપી. ત્યાર બાદ આ જ ખાડાને ફરી બૂરવા માટે શૈલેષે સૂચના આપી. આ સૂચનાને પગલે વનરક્ષક વિશાલ પનોતે બે ડમ્પર મોરમ (ટાશ) મગાવી ખાંભલા જ્યાં ખાડા કર્યા હતા ત્યાં ભરાવીને એ જગ્યા સમતલ કરાવી હતી. એને લઈને શૈલેષ પર શંકા પ્રબળ બની હતી. 'ACF ખાંભલા સાહેબના કવાર્ટર પર મોરમની જરૂર છે'આ ખાડા બાબતે વધુ તપાસ માટે 15 નવેમ્બરના રોજ વિશાલ પનોતને પોલીસે નિવેદન આપવા બોલાવ્યા, જેમાં તેમણે જણાવ્યું કે 6 નવેમ્બરે સવારના 8.35 વાગ્યે પોતાના મોબાઇલ ફોન પર RFO મિત વાણિયાએ ફોન કરી કહ્યું કે ACF ખાંભલા સાહેબના કવાર્ટર પર મોરમની જરૂર છે. બે ડમ્પરની વ્યવસ્થા કરવાની છે એમ કહેતાં કુલદીપસિંહ નામના ડમ્પરવાળાને ફોન કરી બે ડમ્પર મોકલવા જણાવ્યું હતું. આ પછી સવારે 10 વાગ્યે ડમ્પરવાળાનો ફોન આવ્યો, જેથી પોતે તથા RFO વાણિયાનો ડ્રાઇવર સંજય રાઠોડ બન્ને ફોરેસ્ટ કોલોની ખાતે ગયા અને ACF ખાંભલાને ફોન કરી ડમ્પર ક્યાં નાખવાના છે એમ પૂછતાં કહ્યું હું આવું છું. 'તમે અહીં આવતા નહીં, મારો પગ સાપ પર દેવાઈ ગયો છે અને એ કરડી જશે'ત્યાર બાદ થોડીવારમાં શૈલેષ ખાંભલા આવ્યો અને તેને ડમ્પર ક્યાં ખાલી કરવાનાં છે? એમ પૂછતા તેણે કહી દીધું કે આ ડમ્પર પાછળ લઇ લો, જ્યાં તેના કવાર્ટરની બાજુમાં ડમ્પરને લેવામાં આવ્યું. આ દરમિયાન શૈલેષ પણ ક્વાર્ટર પાછળ થઈને જ્યાં ડમ્પર નાખવાનાં હતાં એ ખાડા બાજુ ગયો. આ દરમિયાન વિશાલ પનોત પોતે પણ ખાડા તરફ જતા હતા ત્યારે શૈલેષે કહ્યું કે તમે અહીં આવતા નહીં, મારો સાપ પર પગ દેવાઈ ગયો છે અને એ કરડી જશે. 'ખાડામાં રાત્રે એક રોઝડું પડી ગયું હતું એટલે મેં ગાદલું નાખ્યું'આ ખાડા પાસે માટીનો ઢગલો પડ્યો હોવાથી વિશાલ પનોતે કહ્યું કે ડમ્પરની શું જરૂર હતી? અહીં માટી પડેલી છે એનાથી જેસીબીથી પુરાવી દેત. ત્યારે ખાંભલાએ કહ્યું કે ખાડામાં રાત્રે એક રોઝડું(નીલગાય) પડી ગયું હોવાથી એને ખાડામાંથી બહાર કાઢવા માટે મેં ગાદલું નાખી દીધું હતું અને એના સહારે રોઝડું બહાર નીકળી ગયું હતું. ત્યાર પછી જેસીબીથી ખાડાને બૂરી દેવાયો હતો. એક 6.5 ફૂટનો ખાડો અને બીજો 5.5 ફૂટનો ખાડો કરી આપ્યોત્યાર પછી તેમણે બે માણસો લાવી જગ્યા સમથળ કરાવી દેજો, એમ કહેતાં જગ્યાને સમથળ કરાવી દીધી હતી. 16 નવેમ્બરના રોજ ગિરીશ બલદાણિયાના નિવેદન પ્રમાણે RFO વાણિયા સાહેબના કહેવાથી 2 નવેમ્બરે બપોર પછી જેસીબી લઈ ફોરેસ્ટ કોલોનીમાં એસીએફ ખાંભલાના ક્વાર્ટર પાસે તેના જણાવ્યા પ્રમાણે એક 6.5 ફૂટનો ખાડો અને બીજો 5.5 ફૂટનો ખાડો કરી આપ્યો. 6 નવેમ્બરે ખાડાઓ બૂરવા માટે વધુ મોરમ(માટી) મગાવી એને ભરી દેવાનું કહ્યું. એ બાદ મોરમ લઈને ખાડાઓ બૂરી આપ્યા હતા. ભાવનગરના ફોરેસ્ટ અધિકારીને ફાંસીની માગ સાથે સુરતમાં કેન્ડલ માર્ચ, લોકોની ખાટકી શૈલેષ ખાંભલાને ફાંસી આપવાની માગ ભાવનગરમાં કાચના મંદિર પાસે આવેલા ફોરેસ્ટ કવાર્ટરમાંથી પત્ની, પુત્રી-પુત્રને તકિયાથી મોઢું દબાવી એક પછી એક ત્રણને મોતને ઘાટ ઉતારનાર ACF શૈલષ ખાંભલાને ભાવનગર પોલીસ ઝડપી લીધો છે. ત્યારે શૈલષ ખાંભલાને ફાંસીની સજા કરવાની માગ સાથે સુરતના કાપોદ્રામાં રબારી સમાજની કેન્ડલ માર્ચ યોજાઈ હતી, જેમાં ‘ખાટકી શૈલેષ ખાંભલાને ફાંસી આપો’ના બેનર સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર બે માસૂમ બાળક અને પુત્રવધૂની હત્યાથી પરિવાર આઘાતમાં; ભારે હૈયે વીડિયો બનાવી પોતાની વેદના વ્યક્ત કરી ભાવનગરમાં ફોરેસ્ટ કવાર્ટરમાંથી પત્ની, પુત્રી-પુત્રને તકિયાથી મોઢું દબાવી એક પછી એક ત્રણને મોતને ઘાટ ઉતારનાર ACF શૈલષ ખાંભલાના પિતા બચુભાઈ ખાંભલાએ ભારે હૈયે સોશિયલ મીડિયા મારફત સરકાર અને પોલીસને તેના પરિવારનાં બે માસૂમ બાળક અને પુત્રવધૂની હત્યા કરનારા પુત્ર શૈલષને કડકમાં કડક સજા કરવાની માગ કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર

દિવ્ય ભાસ્કર 25 Nov 2025 12:05 am

વલસાડ પોલીસે સારવારના બહાને છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી:સિનિયર સિટીઝનને નિશાન બનાવતાં, પોલીસ તપાસમાં ગેંગનો પર્દાફાશ થયો

વલસાડ સિટી પોલીસે સારવારના બહાને છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા અને DySP એ.કે. વર્માના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે વિશેષ સૂચનાઓ અપાઈ હતી. તેના અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી. ગત 15 નવેમ્બર 2025ના રોજ વલસાડના રહેવાસી હેકટર ચૌથીયા સુથવાડેથી પરત ફરી રહ્યા હતા, ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ તેમને ડો. રૂસ્તમ નામના ડોક્ટરનો પરિચય કરાવ્યો હતો. આ ડોક્ટરે તેમના પગની તકલીફની સારવારના નામે 19 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આરોપીઓએ ફરિયાદી પાસેથી એક લાખ રૂપિયા રોકડા લીધા હતા અને વધુ રકમ RTGS દ્વારા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. ત્યારે આ સારવારના બહાને છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા જ હેકટર ચૌથીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના નેતૃત્વમાં સર્વેલન્સ ટીમો ગઠિત કરવામાં આવી. ટીમે 200થી વધુ CCTV ફૂટેજની તપાસ કરીને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. તપાસમાં સામે આવ્યું કે, આ ગેંગ રાજસ્થાનના બારા જિલ્લાની હતી અને ખોટા નામે સારવણીયા સ્થળોએ જઈ સિનિયર સિટીઝનને નિશાન બનાવતી હતી. પોલીસે મહારાષ્ટ્ર-વાપી રૂટ પરથી ગેંગના બે સભ્યો મોહંમદ સમીર મોહંમદ ઇરફાન અને મોહંમદ ઇરફાન મોહંમદ ઇસમાઈલને ઝડપી પાડ્યા છે. જોકે, ગેંગનો મુખ્ય સૂત્રધાર ડોક્ટર રૂસ્તમ ઉર્ફે મોહંમદ ઇરફાન આરીફ હજુ વોન્ટેડ છે અને તેને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે નાગરિકોને અજાણ્યા લોકો સાથે પોતાની તબિયત અંગે ચર્ચા ન કરવાની, ક્વોલિફાયડ ડોક્ટર પાસેથી જ સારવાર લેવાની અને કોઈ શંકા જણાય તો તરત 112 પર સંપર્ક કરવાની સૂચના આપી છે. શું છે સમગ્ર ઘટના?આ અંગે DYSP એ કે વર્માએ જણાવ્યું કે, વલસાડ શહેરમાં રહેતા પારસી સમાજના વિરા હેકટર ચૌથીયાના પતિ હેકટર ચૌથીયાને છેલ્લા 2 વર્ષથી ડાબા પગમા તકલીફ હતી. જેની સારવાર ચાલુ હતી, આ દરમિયાન ગત તા.15મી નવેમ્બર 2025ના રોજ હેકટર ચૌથીયા સુથવાડ ખાતે લેપ લગાવવા માટે ગયા હતા ત્યારે પરત ઘરે આવતી વખતે ચીખલી હાઇવે ઉપર નાસ્તો કરવા માટે રોકાયા હતા. ત્યા આગળ એક વ્યક્તિ મળ્યો હતો. તેણે જણાવ્યું કે, તેમના પિતાને પણ આવી જ બીમારી હતી. જેની સારવાર તેમણે ડો.રૂસ્તમ પાસે કરાવી હતી, જેથી પગની બીમારી સારી થઈ છે. ફરિયાદીએ ડોક્ટર રૂસ્તમનો સંપર્ક કરતા તે પોતે પુણેથી બોલે છે અને તમારે સારવાર કરવી હોય તો અહિં આવવું પડશે તેમ જણાવ્યું હતું. જોકે, ફરિયાદીએ ત્યા આવવાની ના પાડી હતી. ત્યારે ડોક્ટર રૂસ્તમે એવું જણાવ્યું કે હુ ત્યા આવી સારવાર કરી દઈશ પણ તેનો ખર્ચો વધુ થશે. જેથી આ લોકોએ સહમતી આપી હતી. આ દરમિયાન 21 તારીખે ડોક્ટર રૂસ્તમ આવ્યાં હતા અને કહ્યું હતું કે આ સારવાર માટે એક ટીપાનો ખર્ચ 11 હજાર થશે. જે બાદ તેઓએ સારવાર શરૂ કરી હતી. આ સારવાર દરમિયાન તેઓએ 171 ટીપા નાખ્યા હતા અને તેનું બિલ 19 લાખ રૂપિયા કર્યું હતું. વધુમાં જણાવ્યું કે, આટલું બિલ જોતા જ ફરિયાદી અને તેમના પત્ની ગભરાઈ ગયા હતા અને કહ્યું હતું કે આટલા રૂપિયા તો છે નહીં જેથી એક લાખ રૂપિયા તેઓએ ચુકવ્યા હતા અને બાકીના રૂપિયા બાદમાં આપવાનું જણાવ્યું હતું. ફરિયાદીએ આ વાતની જાણ તેમના પુત્રને કરી હતી. જેથી પુત્રને આ વાત પર શંકા જતાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમજ ડોક્ટર રૂસ્તમનો ફરી સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે આ 18 લાખ રૂપિયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. આરોપીઓની એમઓ એવી હતી કે આ લોકો એક ટોળકી બનાવીને કામ કરતા હતા. એક વ્યક્તિ કોઈ જાહેર જગ્યા અથવા ધાર્મિક સ્થળે જઈ ત્યા આવા કોઈ વ્યક્તિ હોય તેને સારૂ કરી આપવાનું જણાવતા હતા. જે બાદ આ પ્રમાણે સારવારના નામે છેતરપિંડી કરતા હતા. આ લોકોએ અત્યાર સુધીમાં 6 લોકો પાસેથી આ પ્રમાણે રૂપિયા ઉઘરાવ્યાં હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે હેકટર ચૌથીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ મળતા જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના નેતૃત્વમાં સર્વેલન્સ ટીમો ગઠિત કરવામાં આવી. ટીમે 200થી વધુ CCTV ફૂટેજની તપાસ કરીને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી. તપાસમાં સામે આવ્યું કે, આ ગેંગ રાજસ્થાનના બારા જિલ્લાની હતી અને ખોટા નામે સારવણીયા સ્થળોએ જઈ સિનિયર સિટીઝનને નિશાન બનાવતી હતી. પોલીસે મહારાષ્ટ્ર-વાપી રૂટ પરથી ગેંગના બે સભ્યો – મોહંમદ સમીર મોહંમદ ઇરફાન અને મોહંમદ ઇરફાન મોહંમદ ઇસમાઈલને ઝડપી પાડ્યા છે. જોકે, ગેંગનો મુખ્ય સૂત્રધાર ડોક્ટર રૂસ્તમ ઉર્ફે મોહંમદ ઇરફાન આરીફ હજુ વોન્ટેડ છે અને તેને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે નાગરિકોને અજાણ્યા લોકો સાથે પોતાની તબિયત અંગે ચર્ચા ન કરવાની, ક્વોલિફાયડ ડોક્ટર પાસેથી જ સારવાર લેવાની અને કોઈ શંકા જણાય તો તરત 112 પર સંપર્ક કરવાની સૂચના આપી છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 11:18 pm

ફરી પરમાણુ ટેસ્ટની તૈયારી કરી રહ્યું છે ઈરાન? અમેરિકા અને ઈઝરાયલનું વધશે ટેન્શન

Iran Nuclear Site Rebuilding : ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો તણાવ ફરી વધ્યો છે. નવેમ્બર-2025ની નવી સેટેલાઈટ તસવીરોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, ઈરાન તેની જૂની પરમાણુ હથિયાર સાઈટ ‘તાલેઘાન-2’ (Taleqan-2)નું પુરઝડપે બાંધકામ કરી રહ્યું છે. આ સાઈટ તેહરાન નજીકના પારચિન મિલિટરી કોમ્પ્લેક્સમાં આવેલી છે. પરમાણુ નિષ્ણાતોને ડર છે કે, આ સ્થળે અણુબોમ્બ બનાવવા માટે જરૂરી હાઈ-એક્સપ્લોઝિવ પરીક્ષણો ફરી શરૂ થઈ શકે છે. ઈરાનનો ‘અમાદ પ્લાન’ ફરી શરૂ

ગુજરાત સમાચાર 24 Nov 2025 10:51 pm

યુવતીના ફિયાન્સે માર મારતા આધેડનું મોત થયાનો પરિવારનો આક્ષેપ:મ્યુઝિક સિસ્ટમ ધીમું કરવાનું કહેતાં પાડોશી યુવતી સાથે તકરાર, ફરિયાદ નોંધાવવા જતાં પોલીસ સ્ટેશનમાં ઢળી પડ્યા

ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં સોમવારે થયેલી એક ચોંકાવનારી ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. પડોશીઓ સાથે ઉંચા અવાજે ગીત સાંભળવાના વિવાદને લઈને ફરિયાદ નોંધાવવા આવેલા 50 વર્ષીય ઐયુબ પટેલ પોલીસ મથકમાં જ અચાનક ઢળી પડ્યા હતા અને તેમનું મોત થયું હતું. યુવતીના ફિયાન્સે માર મારતા આધેડનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ યુવતીએ આક્ષેપ કર્યો છે કે, મે અવાજ ધીમો કર્યો હતો છતાં તેમણે મને ત્રણ તમાચા માર્યા હતા. જેથી મારા મંગેતરે મને આવીને બચાવવાની કોશિશ કરી હતી અને મારામારી થઈ હતી. મળતી માહિતી મુજબ, ભરૂચના શુકુન બંગલોઝ વિસ્તારના રહેવાસી ઐયુબ પટેલને હૃદયરોગની સમસ્યા હતી. પડોશમાં રહેતી યુવતી સતત તેજ અવાજે સાઉન્ડ સિસ્ટમ વગાડતા હોવાને કારણે તેમણે અવાજ ધીમો રાખવા જણાવ્યું હતું. આ મુદ્દે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ અને મામલો મારામારી સુધી પહોંચતા બંને પક્ષ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. આ દરમિયાન ઐયુબ પટેલ અચાનક બેભાન થઈ નીચે ઢળી પડ્યા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર પહેલા જ તેમનું અવસાન થયું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. તબીબી રિપોર્ટ મળ્યા બાદ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ મથકમાં જ ફરિયાદીનું મોત નિપજતા સ્થાનિક સ્તરે ભારે ખળભળાટ મચી ગયો છે. મૃતકના ભાઈ યાકુબ ગુરુજીએ આક્ષેપ સાથે જણાવ્યું કે, આજે મારા પર મારા ભત્રીજાનો ફોન આવ્યો હતો કે, મારા ભાઈની સામે રહેતા વ્યક્તિ રોજ તેની મ્યુઝિક સીસ્ટમ વધારે અવાજ સાથે વગાડે છે જેથી તેમને ભાઈ ઓછા અવાજે વગાડવાનું કહેવા જતા બંને વચ્ચે તકરાર થઈ હતી. તે સમયે યુવતીનો મંગેતર ત્યાં જ નજીકમાં રહેતો હોય આવીને મારા ભાઈની છાતીમાં ફેંટો અને લાતો મારી હતી. જેથી અન્ય લોકોએ તેમને છોડાવીને ભાઈને લઈને તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપવા પહોંચ્યા હતા જ્યાં તે વાત કરતા જ ઢળી પડ્યા હતા, જેથી તેમને રિક્ષામાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા, પરતુ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જેથી છાતીમાં ફેંટો મારવાથી મારા ભાઈનું મોત નિપજ્યું છે અને તે બાબતની અમે ફરિયાદ લખાવવાના છીએ. જેની સાથે બબાલ થઈ તે યુવતીએ પણ આક્ષેપ કરતા જણાવ્યું કે, મારા લગ્ન હોય હું ગીતો વગાડતી હતી. તો સામે વાળા ભાઈએ આવીને મને એવું કહ્યું કે, અવાજ બંધ કર જોકે અવાજ ધીમો જ હતો તો પણ તે ભાઈએ આવીને અવાજ ઓછો કરો અવાજ ઓછો કર જેથી મેં અવાજ પણ ઓછો કર્યો હતો. તેમ છતાંય તે વ્યક્તિ મને ખેંચીને ગેટ પાસે લઈ ગયો હતો અને મને ત્રણ તમાચા માર્યા હતા. જેથી મારા મંગેતરે મને આવીને બચાવવાની કોશિશ કરી હતી. જોકે, તેમને પણ જાંઘ પર બચકું ભરી લીધું હતું અને મારામારી થઈ હતી. ત્યારબાદ અમે ફરિયાદ આપવા પોલીસ મથકે ગયા હતા.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 10:50 pm

અમદાવાદ વર્લ્ડ હેરિટેજ વીક 2025નું સફળ સમાપન:શહેરના સાંસ્કૃતિક વારસાની ઉજવણીમાં નાગરિકોની ઉત્સાહપૂર્વક ભાગ લીધો

વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 17થી 23 નવેમ્બર દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ વિભાગ દ્વારા ઉજવાયેલા ‘વર્લ્ડ હેરિટેજ વીક 2025’નું સફળ સમાપન થયું છે. આ સપ્તાહિક ઉજવણી દરમિયાન શહેરે એક વખત ફરીથી પોતાના ઈતિહાસ, સંસ્કૃતિ અને વારસા પ્રત્યેની ગૌરવગાથા જીવંત કરી છે. અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટ (AWHCT) જે AMCનું એસપિવી છે તથા અનેક સહાયક સંસ્થાઓના સહયોગથી આયોજિત આ વીકમાં 800થી વધુ નાગરિકોની સીધી ભાગીદારી અને ઈન્ટરનેશનલ બુકફેર ખાતે હેરિટેજ વિભાગના સ્ટોલ પર 1000થી વધુ મુલાકાતીઓ સાથે થયેલા સંવાદો આ કાર્યક્રમની લોકપ્રિયતાનું પ્રતિબિંબ હતા. આ સપ્તાહે શહેરભરમાં સેમિનાર, હેરિટેજ વોક, નાટ્ય રજૂઆતો, પ્રદર્શન, શૈક્ષણિક મુલાકાતો, વર્કશોપ્સ અને યુવાનોને જોડતા અનોખા કાર્યક્રમો યોજાયા હતા, જેમાં અમદાવાદની ‘લિવિંગ હેરિટેજ’ ઓળખને ગાઢ બનાવવાનો પ્રયાસ જોવા મળ્યો. હેરિટેજ વીકની વાત કરીએ તો જ્યારે ઈન્ટરનેશનલ બુકફેરમાં હેરિટેજ સ્ટોલે હજારો મુલાકાતીઓને આકર્ષ્યા, જ્યાં લોકો સાથે શહેરના વર્લ્ડ હેરિટેજ, સંરક્ષણ અને વોલ્ડ સિટી વિકાસ વિષયક ચર્ચાઓ થઈ તેમજ ડિજિટલ સર્વે મારફતે લોકોના અભિપ્રાયો એકત્રિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર વીક દરમિયાન નાગરિકો, વિદ્યાર્થીઓ, કલાકારો, પ્રવાસીઓ અને હેરિટેજ ક્ષેત્રે કાર્યરત નિષ્ણાતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.આયોજકોના જણાવ્યા મુજબ, “હેરિટેજ વીક માત્ર ઉજવણી નથી, પરંતુ વર્તમાન અને ભવિષ્યની પેઢીને પોતાના શહેરના વારસાના સંરક્ષણ તરફ પ્રેરિત કરવાનો એક પ્રયાસ છે. અમદાવાદને ‘લિવિંગ હેરિટેજ સિટી’ તરીકે વધુ મજબૂત બનાવવા માટે આ કાર્યક્રમોએ નવી દિશા આપી છે.”

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 10:41 pm

પૌત્રની છઠ્ઠી જોવા જતા દાદીમા કારચાલકે અડફેટે લીધા:સિવિલમાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત, પોલીસે કાર ચાલકની અટકાયત કરી

ભુરીબેન રેવાભાઇ સુસરા (ઉં.વ. 62, રહે. સાંગોઇ ગામ, સાયલા, સુરેન્દ્રનગર) આજે સવારે 10:00 વાગ્યાં આસપાસ પોતે કુવાડવા રોડ પર પટેલ વિહાર રેસ્ટોરન્ટ સામે ચાલીને રોડ ક્રોસ કરતા હતા ત્યારે એક કાર ચાલકે વૃદ્ધાને અડફેટે લીધા હતા. જેમાં તેઓને માથે ગંભીર ઇજા થતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ડોકટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યાં હતા.પરિવારજનોએ જણાવ્યું કે, ભુરીબેનને સંતાનમાં 3 દીકરા અને 6 દીકરી છે. તેમનો એક દીકરો રાજકોટના નવાગામના રંગીલા વિસ્તારમાં આવેલ ગોકુલનગરમાં રહેતો હોય અને તે પુત્રના ઘરે પુત્રનો જન્મ થયો હોય, આજે એ પૌત્રની છઠ્ઠી હોવાથી દાદીમા ભુરીબેન ત્યાં જતા હતા. અકસ્માત સર્જનાર કારના નંબર જીજે 05 આરજે 5050 છે. કાર ચોટીલા તરફથી પુરપાટ ઝડપે આવતી હતી. પોલીસે કાર ચાલકની અટકાયત કરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. હિટ એન્ડ રનમાં રીક્ષાની ઠોકરે ઘવાયેલા આધેડનું સારવારમાં મોતઅનવરભાઈ હાજીઅલ્લારખા મકવાણા (ઉં.વ. 53, રહે. ભરતવન સોસાયટી, નીલકંઠ સિનેમા પાસે, કોઠારીયા રોડ) ગત તા.19ના રોજ સવારે બાઈક લઈને જતા જતા ત્યારે 10.30 વાગ્યાં આસપાસ દૂધસાગર રોડ ઉપર ફારુકી મસ્જિદ પાસે અજાણ્યો રીક્ષા ચાલક ઠોકર મારી નાસી ગયો હતો.અકસ્માતમાં અનવરભાઈને ઈજા થઈ હતી. તેઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન આજે વહેલી સવારે તેમનુ મૃત્યુ નીપજ્યું હતું. થોરાળા પોલીસની ટીમે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. પરિવારે જણાવ્યું કે, અનવરભાઈ તેના મિત્ર માટે મકાન જોવા જતા હતા. ત્યારે આ બનાવ બન્યો હતો.સીએનજી રીક્ષાનો ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો. અનવરભાઈ 4 ભાઈ અને 4 બહેનમાં બીજા નંબરના હતા. તેમને સંતાનમાં 1 દીકરો અને 2 દીકરી છે. તેઓ માલીયાસણ બાયપાસ પાસે ગેરેજ અને બેટરીની દુકાન ચલાવતા હતા. તેમના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો હતો. યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાતઆસોપાલવ હાઈટ્સમાં રહેતા 25 વર્ષીય વેદાંત પાનસુરીયાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતકનું નામ વેદાંત ભાવેશભાઈ પાનસુરીયા (ઉં.વ. 25) છે. તે મવડીના 80 ફૂટ રોડ પર આસોપાલવ હાઈટ્સમાં રહેતો. આજે સવાર ગળાફાંસો લગાવી જિંદગી ટૂંકાવી લીધી હોવાની જાણ થતા આજીડેમ પોલીસ મથકની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આશાસ્પદ યુવાનના આપઘાતથી પરિવારમા શોક છવાયો હતો. આત્મહત્યાનું કારણ બહાર ન આવતા પોલીસે વધુ તપાસ ચાલુ રાખી છે. આજીડેમ ચોકડી પાસે બસના કાચ ફોડનારા સામે કાર્યવાહી કરવા CPને રજૂઆતરાજકોટથી પસાર થતી સુરતની બસો થોડા સમય પહેલા આજીડેમ ચોકડી આગળથી પસાર થતા બસના કાચ ફોડી ડ્રાઈવર, કંડકટરને ઈજા પહોંચાડવામાં આવી હતી. જે અંગે આજી ડેમ પોલીસમાં નોંધ થઈ છે પરંતુ હજુ સુધી કોઈ આરોપી પકડાયેલા નથી જે બાદ બે દિવસ પહેલા ત્રણ બસના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા. આ ઘટના વારંવાર થતી હોય આજ દિન સુધી આ ગેંગ પકડાયેલ નથી. આવો ઈરાદો પેસેન્જરોની લૂંટનો ઈરાદો હોય કે માલીકને નુકશાન પહોંચાડી ડ્રાઈવર - કંડકટરને માર મારી રૂપિયા પડાવવાનો હોય પરંતુ સત્ય બહાર આવે તે જરૂરી છે. આગામી દિવસોમાં આરોપીને પકડી એનુ સરઘસ કાઢી પાઠ ભણાવવામા આવે તેવી ટ્રાવેલ્સ એસોસીએશનએ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. ગેસ સિલિન્ડર ફાટતા યુવાન ઇજાગ્રસ્તશહેરના અશોક ગાર્ડન પાસે ચામુંડા ચોકમાં વાસણની દુકાનમાં પાંચ કિલોના નાના ગેસના સિલિન્ડર આપતા હોવાથી મનિષ માતાપ્રસાદ વર્મા (ઉં.વ. 18, રહે. નાનામવા સર્કલ) ત્યાં બાટલો ભરાવા માટે ગયા હતો.જ્યાં અચાનક એક સિલિન્ડર ફાટતા મનિષ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા માલવીયાનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં દોડી ગયો હતો. તપાસ કરતા ત્યાં હાજર બીજા એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 10:31 pm

દુષ્કર્મ કેસના આરોપીની ધરપકડ:યુવતીના ફાટા વાઈરલ કરવાની ધમકી આપી આરોપીએ અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું

ભાવનગર શહેરમાં એક યુવતી પર દુષ્કર્મ આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા આરોપી અતિક પરમારે યુવતી સાથે ફોટા પડાવી વાઇરલ કરવાની ધમકી આપી મિત્રતા રાખવા દબાણ કર્યું હતું. તેમજ અતિક પરમારે યુવતી સાથે મરજી વિરૂદ્ધ અવાવરૂ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે બોરતળાવ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો હતો. આ અંગે સિટી ડીવાયએસપી આર.આર. સિંઘાલે જણાવ્યું હતું કે, શહેરમાં રહેતી એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જે મામલે બોરતળાવ પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. વર્ષ 2024માં યુવતી અને નવાપરા વિસ્તારમાં રહેતો અતિક મહેબુબભાઈ પરમારનું એક જ પરીક્ષા સેન્ટર હોવાથી બંને એકબીજાના પરિચયમાં આવ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે પણ થઈ હતી. ત્યાર બાદ અવારનવાર ફોન પર વાતચીત કરતાં અતિક પરમારે યુવતી સાથે ગાઢ મિત્રતા કેળવી હતી. આ દરમિયાન અતિકે યુવતી સાથે ફોટા પડાવ્યા હતા અને ફોટા વાઈરલ કરવાની ધમકી આપી યુવતીને બોરતળાવ વિસ્તારની અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેની સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત ફોટા વાઇલરની ધમકી આપી મિત્રતા રાખવા દબાણ પણ કર્યું હતું. આ મામલે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે અતિક પરમારને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ કોર્ટના આદેશ હેઠળ જિલ્લા જેલ હવાલે કરી દીધો છે. આ મામલે પી.આઇ. નરેન્દ્રસિંહ ડાભી તપાસ કરી રહ્યા છે અને આરોપીની CDR કાઢી તથા જ્યારે બંને વચ્ચે મિત્રતા હતી તે સમયે જે સ્ક્રીનશોટ છે તેનો અભ્યાસ હાલ ચાલુ છે અને જો આ તપાસ દરમિયાન અન્ય કોઈની મદદગારી સામે આવશે તો તે શખસની પણ અટક કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 10:22 pm

ખાટુ શ્યામ મંદિરમાં ચોરી, CCTV:રાજકોટમાં દાનપેટી તોડી રૂ.65 હજારની રોકડ ચોરતો શખ્સ ઝડપાયો, ચોરના નામે પોલીસ ચોપડે 16 ગુના બોલે છે

રાજકોટમાં ખાટુ શ્યામ મંદિરની દાનપેટી તોડી તેમાંથી રૂ. 65,000ની ચોરી કરી જતા શખ્સને ગાંધીગ્રામ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. એક શખ્સ મંદિરમાં પ્રવેશી સ્ટીલની દાનપેટી તોડતો હોય એવા CCTV સામે આવ્યા હતા જેના આધારે પોલીસે કરેલી તપાસમાં તે શખ્સ વિવેક ચૌહાણ હોવાનું ખુલ્યુ હતુ. જેથી પોલીસે તેની ધરપકડ કરી છે અને આગળની કરેલી તપાસમાં ખુલ્યું છે કે, આ શખ્સ સામે શહેરના અલગ અલગ પોલીસ મથકમાં 16 ગુના નોંધાઈ ચૂક્યા છે. 65 હજારની રોકડ રકમની ચોરી કરી નાસી ગયો હતોગત તા.21 નવેમ્બરના મોડી રાત્રિના જામનગર રોડ ઉપર સૈનિક સોસાયટી પાસે આવેલા કર્નલ બંગલાની બાજુમાં નવા બની રહેલા ખાટુ શ્યામ મંદિરમાં દાનપેટી તોડી અજાણ્યો શખ્સ રૂ.65 હજારની રોકડ રકમની ચોરી કરી નાસી ગયો હતો. જે અંગે મંદિરના પૂજારી દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસે મંદિરના સીસીટીવી તપાસ્યા હતા જેમાં એક શખ્સ મંદિરની સ્ટીલની દાન પેટી થોડી તેમાંથી પૈસા લઈ જતો દેખાયો હતો. પોલીસે CCTVના આરોપીની ધરપકડ કરીજેથી પોલીસે CCTVના આધારે ચોરી કરતા શખ્સને ઓળખી લીધો હતો. જે ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતો 39 વર્ષીય વિવેક બિરેન્દ્રસિંગ ચૌહાણ હોવાનું ખુલ્યુ હતુ. જેથી પોલીસે રોકડ રકમ સાથે આ શખ્સને ઝડપી લીધો હતો. વિવેક સામે અગાઉ ગાંધીગ્રામ ઉપરાંત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, થોરાળા, માલવિયા નગર, એ ડિવિઝન, તાલુકા પોલીસ સ્ટેશન અને પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં મળી 16 ગુના નોંધાઈ ચૂક્યા છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 10:17 pm

ધરમપુરમાં NH 56 બિસ્માર હાલતમાં, વારંવાર રજૂઆત છતાં કામ નહીં:સ્થાનિક લોકોમાં ભારે રોષ, 2 દિવસમાં તમામ રસ્તા નહીં બને તો CMના કાર્યક્રમના બહિષ્કારની ચિમકી

વલસાડ જિલ્લાના ધરમપુરમાં નેશનલ હાઈવે 56 (NHAI) ની બિસ્માર હાલત અને વારંવારની રજૂઆતો છતાં કોઈ કામગીરી ન થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આગામી 27મી તારીખે મુખ્યમંત્રી ધરમપુર ખાતે આવવાના છે. જોકે, મુખ્યમંત્રીના આગામી કાર્યક્રમ પૂર્વે ફક્ત શેરીમાળ ફાટક સુધી જ રોડ બનાવવામાં આવ્યો છે, જેને લઈ સ્થાનિક આગ્રણીઓ અને આદિવાસી સમાજના લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે. ધરણપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલની આગેવાનીમાં આદિવાસી સમાજના આગેવાનોએ આજે પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું છે. જેમાં 2 દિવસમાં ધરમપુરમાં NH 56 રોડની કામગીરી કરવા માંગ કરી છે, જો તેમ કરવામાં નહીં આવે તો આ કાર્યક્રમનો આકસ્મિત બહિષ્કાર અને રસ્તા રોકો આંદોલન સાથે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વાપીથી શામળાજી સુધીનો નેશનલ હાઈવે 56 અત્યંત ખરાબ હાલતમાં છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વહીવટી તંત્ર વારંવારની રજૂઆતો છતાં ઘોર નિદ્રામાં છે. અગાઉ પણ આ મામલે રસ્તા રોકો આંદોલનનો પ્રયાસ થયો હતો, ત્યારે અધિકારીઓએ 10 દિવસમાં રસ્તાના સમારકામની ખાતરી આપી હતી, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર કામગીરી થઈ નથી. ધરમપુરથી કરંજવેરી માન નદી થઈને જતો રસ્તો પણ અત્યંત બિસ્માર છે, જેના કારણે રોજ ઉડતી ધૂળની ડમરીઓથી લોકો પરેશાન છે. હાલમાં કરંજવેરી ગામે માન નદી પરનો પુલ અને આંબા ગામે તાન નદી પરનો પુલ બંધ હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી 27મી તારીખે ગુજરાતના મુખ્યમંત્રી ધરમપુર ખાતે આવવાના છે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ફક્ત શેરીમાળ ફાટક સુધી જ રોડ બનાવવામાં આવ્યો છે, જેથી NH 56 ઉપર રોજ અવરજવર કરતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં વધુ નારાજગીનું કારણ બન્યું છે. ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલની આગેવાનીમાં આદિવાસી સમાજ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, જો આ રોડનું તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે, તો મુખ્યમંત્રીના કાર્યક્રમનો બહિષ્કાર કરીને રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ કાળા વાવટા બતાવી આંદોલન કરવાની અને તેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે તેવી રજૂઆત કરી છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 9:49 pm

કપરાડામાં મતદાર જાગૃતિ માટે કોલ સેન્ટર, ડીજે પ્રચાર:SIR કામગીરીમાં કપરાડા વિધાનસભા જિલ્લામાં બીજા સ્થાને, કામગીરી 50% પૂર્ણ

કપરાડા વિધાનસભા મતવિસ્તારમાં મતદારોને જાગૃત કરવા અને SIR (Special Summary Revision) હેઠળ ફોર્મ વેરિફિકેશન પ્રક્રિયાને વેગ આપવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત કોલ સેન્ટર, ડીજે પ્રચાર અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. SIR કામગીરીમાં કપરાડા વિધાનસભા જિલ્લામાં બીજા સ્થાને છે. ધારાસભ્ય જીતુ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ અભિયાનમાં 10મી તારીખથી કોલ સેન્ટર કાર્યરત કરાયું છે. આ કોલ સેન્ટર દ્વારા મતદારો અને ગામના ચૂંટાયેલા પ્રતિનિધિઓને મતદાર નંબર સાથે માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત, ડીજે પ્રચાર વાહનો ગામડે-ગામડે અને શેરીઓમાં ફરીને નાગરિકોને વહેલી તકે ફોર્મ દાખલ કરવા પ્રેરિત કરી રહ્યા છે. કપરાડા વિધાનસભામાં કુલ 2,80,000 મતદારો પૈકી 1,40,300થી વધુ મતદારોનું વેરિફિકેશન પૂર્ણ થઈ ચૂક્યું છે, જે લગભગ 50% કામગીરી દર્શાવે છે. બાકીની કામગીરી 30મી તારીખ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. જિલ્લા સ્તરે SIR કામગીરીમાં ધરમપુર વિધાનસભા સૌથી ઝડપી કામગીરી સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે કપરાડા વિધાનસભા 55-60% કામગીરી પૂર્ણ કરીને બીજા સ્થાને પહોંચી છે. ધારાસભ્ય જીતુ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ ઝુંબેશ મત મેળવવા માટે નહીં, પરંતુ મતદારોને જાગૃત કરીને સમયસર ફોર્મ દાખલ કરાવવા માટે ચલાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા અને ડીજે પ્રચાર દ્વારા આંતરિયાળ વિસ્તારોના છેવાડાના મતદાર સુધી પહોંચીને કામગીરી ઝડપભેર પૂર્ણ કરવાના પ્રયાસો ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 9:41 pm

જાવિયા સ્કૂલની બેદરકારી, બાળક સ્કૂલમાંથી ગાયબ:એક્સ્ટ્રા ક્લાસ માટે રોકાયેલો ધોરણ-1નો માસૂમ સ્કૂલમાંથી નીકળી ગયો, સંચાલકોને બે કલાક સુધી ખબર ન પડી

વર્તમાન સમયમાં વાલીઓ પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય અને ઉત્તમ સુરક્ષા માટે મોંઘી ફી ભરીને ખાનગી શાળાઓમાં શિક્ષણ અપાવતા હોય છે ત્યારે જુનાગઢના ઝાંઝરડા રોડ નજીક આવેલી જાવિયા સ્કૂલની ગંભીર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇંગ્લીશ મીડિયમ ધોરણ-1માં ભણતો માસૂમ બાળક શાળામાંથી ગાયબ થઈ ગયો હતો. પિતા તેને લેવા આવ્યા ત્યારે બાળક હાજર ન મળતાં શોધખોળના અંતે બાળક સ્કૂલથી બે કિલોમીટર દૂર એકલો ચાલતો મળી આવ્યો હતો. શાળા સંચાલકો, શિક્ષકો કે સિક્યુરિટીને બે કલાક સુધી આ ઘટનાની જાણ પણ નહોતી, જેને કારણે વાલીઓએ સ્કૂલના વહીવટ પર ગંભીર આક્ષેપો લગાવ્યા. એક્સ્ટ્રા ક્લાસના નામે રોકાયેલો બાળક સ્કૂલથી ગાયબબાળકના પિતાએ સમગ્ર ઘટના અંગે પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સવારે 7 વાગ્યે તેમણે પોતાના દીકરાને ઈકો વાનમાં જાવ્યા સ્કૂલમાં મોકલ્યો હતો. શાળામાંથી શિક્ષકનો ફોન આવતાં તેમણે બાળકને એક્સ્ટ્રા ક્લાસ માટે રોકવાની સંમતિ આપી હતી અને તેનું ફોર્મ પણ ભરી દીધું હતું. શિક્ષકે તેમને ખાતરી આપી હતી કે, તે ઈકો વાનના ડ્રાઇવરને ના પાડી દેશે. બપોરે પિતા સ્કૂલેથી બાળકને લેવા આવ્યા તો હાજર જ નહોતોબાળકના એક્સ્ટ્રા ક્લાસ પૂરા થયા બાદ પિતા જ્યારે બપોરે 1:00 વાગ્યે દીકરાને લેવા માટે સ્કૂલે આવ્યા, ત્યારે તેમણે એક કલાક સુધી રાહ જોઈ. બાળક આવ્યો નહીં એટલે તેમણે શિક્ષકને પૂછપરછ કરી. આ સમયે શિક્ષકોને પણ ખ્યાલ ન આવ્યો કે બાળક ક્યાં છે. પિતાના જણાવ્યા મુજબ જ્યારે તેમણે પોતાના બાળકને શોધવા જવાની કોશિશ કરી ત્યારે સંચાલકો દ્વારા તેમને શોધવા જવા દેવામાં પણ નહોતા આવતા. બાળક બે કલાક બાદ ચોબારી ફાટક નજીક મળ્યોપિતાએ તાત્કાલિક તેમના મોટા ભાઈને આ બાબતની જાણ કરી. બાળકના મોટા બાપુ જ્યારે રસ્તામાં સ્કૂલ તરફ આવી રહ્યા હતા, તે સમયે તેમને તેમનો ભત્રીજો સ્કૂલથી લગભગ બે કિલોમીટર દૂર ચોબારી ફાટક નજીક એકલો ચાલતો મળી આવ્યો હતો. પિતાનો દીકરો સ્કૂલમાંથી ગાયબ થયાના લગભગ બે કલાક બાદ તેના પરિવારને પરત મળ્યો હતો શાળા સંચાલકો ખોટું બોલીને પોતાની બેદરકારી છુપાવી રહ્યા છેબાળકના પિતાએ આક્ષેપ કર્યો કે, સ્કૂલના સંચાલકો અને ટીચરો હાલ જુઠ્ઠાણા ચલાવી રહ્યા છે કે, મારો દીકરો એક્સ્ટ્રા ક્લાસમાં રોકાયો જ નહોતો. શાળા સંચાલકો ખોટું બોલીને પોતાની બેદરકારી છુપાવી રહ્યા છે. બાળકોની સુરક્ષા મામલે થયેલી આ ગંભીર ભૂલ બદલ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. આવતીકાલે લેખિત રજૂઆત કરીને કાયદેસરની કાર્યવાહીની માંગ કરીશુંબાળકના મોટા બાપુએ પણ ભારપૂર્વક જણાવ્યું કે એક ખાનગી સ્કૂલમાં ભણતો બાળક આ રીતે સ્કૂલેથી નીકળી જાય અને સિક્યુરિટી કે શિક્ષકોને ખ્યાલ પણ ન હોય, તે ઘોર બેદરકારી છે. અમે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને મૌખિક રજૂઆત કરી છે અને આવતીકાલે લેખિત રજૂઆત કરીને કાયદેસરની કાર્યવાહીની માંગ કરીશું. સ્કૂલવાનના ડ્રાઈવરે પણ વાલીના નિવેદનને સમર્થન આપ્યુંસ્કૂલવાનના ડ્રાઈવર ભાવેશ વાજાએ વાલીના નિવેદનને સમર્થન આપતા જણાવ્યું હતું કે, સવારે બાળકને એક્સ્ટ્રા ક્લાસ હોવા અંગે પિતાનો કોલ આવ્યો હતો. વિદ્યાર્થીઓ છૂટ્યા બાદ જ્યારે મેં શિક્ષકને પૂછ્યું ત્યારે જાવ્યા સ્કૂલના ટીચરે પણ કન્ફર્મ કર્યું હતું કે, બાળકને એક્સ્ટ્રા ક્લાસ હોવાથી તેને વાનમાં લઈ જવાનો નથી. બાળક ક્લાસમાં આવવાના બદલે સીડીથી નીચે ઉતરી ગયો હતોજાવિયા સ્કૂલના સંચાલક રમેશ જાવિયાએ આ ઘટના અંગે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, પહેલા ધોરણમાં ભણતા આ બાળકે આજે જ એક્સ્ટ્રા ક્લાસમાં જોડાવાનું શરૂ કર્યું હતું. બાળક ક્લાસમાં આવવાના બદલે સીડીથી નીચે ઉતરી ગયો હતો. ટીચરને પણ ખ્યાલ નહોતો કે, આ બાળકનો પહેલો દિવસ છે અને તે ક્લાસમાં હાજર નથી. થોડીવારમાં જ બાળક તેના ઘરના રસ્તા તરફ જતો રહ્યો અને પરિવારના સભ્યોને મળી ગયો હતો. અમે નબળા વિદ્યાર્થીઓ માટે એક્સ્ટ્રા ક્લાસ ચલાવીએ છીએ અને બાળકોની સુરક્ષા-સલામતીને હંમેશા પહેલું પ્રાધાન્ય આપીએ છીએ. બાળ સુરક્ષા અધિકારીએ તપાસના આદેશ આપ્યા​​​​​​​આ સમગ્ર મામલે જૂનાગઢ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સુરેશ મહિડાએ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, જાવ્યા સ્કૂલના પહેલા ધોરણના બાળકના વાલી અહીં ફરિયાદ કરવા માટે આવ્યા હતા અને હાલ મૌખિક રજૂઆત કરી છે. ઑફિસમાં ઑપરેટર હાજર ન હોવાથી આવતીકાલે તેઓ લેખિત ફરિયાદ કરશે, જે બાદ આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. સ્કૂલમાંથી બાળક ચાલ્યા જવાની આ ઘટનાને ગંભીર બેદરકારી કહી શકાય. તેમણે કાયદાકીય જોગવાઈ વિશે માહિતી આપતા કહ્યું કે, જો વાલી પાસે પૂરતા પુરાવા હોય અને આ વાત સત્ય સાબિત થાય, તો શાળા સંચાલકો વિરુદ્ધ ગુનો પણ નોંધવાની જોગવાઈ છે. હાલ આ સમગ્ર મામલે તપાસના આદેશ આપી દેવાયા છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 9:40 pm

મોરબીમાં રેબન સિરામિક કંપનીની લેબર કોલોનીમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ:ત્રણ સગા ભાઈઓ સહિત પાંચ શ્રમિકો દાઝ્યા, તમામ રાજકોટ સિવિલમાં દાખલ

મોરબીના રંગપર નજીક આવેલી રેબન સિરામિક કંપનીની લેબર કોલોનીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં પાંચ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનામાં ત્રણ સગા ભાઈઓ સહિત પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેમને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ 23 નવેમ્બરના રોજ સવારે 8:30 કલાકે બન્યો હતો. શ્રમિકો ક્વાર્ટરમાં સૂતા હતા ત્યારે ગેસ લીકેજના કારણે રૂમમાં ગેસ પ્રસર્યો હતો અને અચાનક સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. પ્રાથમિક તપાસમાં સિલિન્ડરનું રેગ્યુલેટર લીક થવાથી આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. દાઝી ગયેલા શ્રમિકોમાં ઇતવારી બંગાળી (22), સૂરજ બક્ષીભાઈ (25), અમન બક્ષીભાઈ (23), વિનય બક્ષીભાઈ (18) અને શિવા ભરત (16)નો સમાવેશ થાય છે. આ પાંચેય વ્યક્તિઓ મૂળ રાજસ્થાનના વતની છે અને છેલ્લા એક વર્ષથી અહીં મજૂરી કરી રહ્યા હતા. સૂરજ, અમન અને વિનય સગા ભાઈઓ છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક મોરબીની સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 9:33 pm

પતિની હત્યા કરી લાશ જમીનમાં દાટી દેનાર પત્નીની ધરપકડ:આરોપી પ્રેમી અને તેના મામાને ઝડપી પાડવા વડોદરા પોલીસની બે ટીમ મુંબઈ રવાના થઈ

18 નવેમ્બરની રાત્રિના વડોદરા શહેરના તાંદલજા ગામના ચોતરાવાળા ફળિયામાં રહેતી પત્ની ગુલબાનુએ તેના મુંબઇમાં રહેતા પ્રમી મોહમ્મદ તૌસીફ અને તેના મામા મહેતાબે મળીને પતિ ઈર્શાદ બંજારા (ઉ.વ. 32)નું ઓશીકાથી મોઢું દબાવી દીધા બાદ માથું જમીન પર પછાડી હત્યા કરી હતી. આ હત્યા કેસમાં પોલીસે આરોપી પત્ની ગુલબાનુની ધરપકડ કરી છે. જ્યારે આરોપી પ્રેમી અને તેના મામાને ઝડપી પાડવા વડોદરા પોલીસની ટીમ મુંબઇ રવાના કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુલબાનુ મુંબઇમાં રહેતા મોહમ્મદ તૌસીફ સાથે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. પતિ ઇર્શાદ આ સંબંધમાં આડો આવતો હોવાથી બંનેએ તેને રસ્તેથી હટાવવાનું ષડયંત્ર રચ્યું હતું. શું છે સમગ્ર મામલો?ગત 18 નવેમ્બરે ગુલબાનુ અકોટા વિસ્તારની મિલન હોટલમાં તેના પ્રેમી મોહમ્મદ તૌસીફને મળવા ગઈ હતી. ત્યાં તૌસીફે તેને ઘેનની ગોળીઓ આપી અને રાત્રે દૂધમાં ભેળવીને પતિને પીવડાવવાનો પ્લાન ઘડ્યો હતો. રાત્રે ગુલબાનુએ ઇર્શાદને દૂધમાં ઘેનની ગોળી ઓગળીને પીવડાવી દીધી અને વોટ્સએપ કોલ કરીને તૌસીફને ઘરે બોલાવ્યો હતો. ત્યાર બાદ રાત્રે 1 વાગ્યે મોહમ્મદ તૌસીફ અને તેનો મામા મહેતાબ ગુલબાનુના ઘરે પહોંચ્યા હતા. પત્નીએ પગ પકડ્યા અને પ્રેમીએ ઓશીકાંથી મોઢું દબાવ્યુંઘેનની ગોળીની અસરથી ઇર્શાદ બેભાન હાલતમાં જમીન પર સૂતો હતો. તે સમયે ગુલબાનુએ બંને હાથથી પતિ ઇર્શાદના પગ પકડી રાખ્યા હતા અને તૌસીફે ઓશીકું મોઢા પર મૂકીને જોરતી દબાવી રાખ્યું હતું. જ્યારે મહેતાબે ગુલબાનુનો દુપટ્ટો લઈને ઇર્શાદના ગળે વીંટાળીને ખેંચ્યો હતો. તરફડિયાં મારતા ઇર્શાદનું માથું તૌસીફે જમીન પર પછાડ્યું અને તેનું મોત નિપજ્યું હતું. પરિવારને છાતીમાં દુ:ખાવાનું બહાનું બતાવી દફનવિધી કરાવીહત્યા બાદ તૌસીફ અને મહેતાબ ઘટનાસ્થળેથી નાસી છૂ્ટ્યા હતા. ગુલબાનુએ પરિવારજનોને ખોટી વાત કહી કે ઇર્શાદનું છાતીમાં દુ:ખાવાથી મોત થયું છે અને તેની દફનવિધી પણ કરાવી દીધી હતી. જોકે, દફનવિધી દરમિયાન ગુલબાનુ કોઈની સાથે ફોન પર વાતો કરતી હોવાથી મૃતકના ભાઈ ઇમ્તિયાઝને શંકા ગઈ હતી. પોલીસે પત્નીની ધરપકડ કરી, પ્રેમી અને તેના મામા હજુ ફરારપરિવારની પૂછપરછમાં ગુલબાનુએ સ્વીકાર કર્યો હતો કે તેણે પ્રેમીની મદદથી પતિની હત્યા કરી હતી. ત્યાર બાદ પરિવારે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુલબાનુની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે આરોપી પ્રેમી મોહમ્મદ તૌસીફ અને તેના મામા મહેતાબ હજુ ફરાર છે. બંનેની શોધખોળ માટે જે.પી. રોડ પોલીસની બે ટીમ મુંબઈ રવાના થઈ છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 9:33 pm

નવું સીમકાર્ડ લેતા ધ્યાન રાખજો:એજન્ટે ગ્રાહકની જાણ બહાર રૂ.400ના કમિશનમાં વિદેશમાં ફોર્ડ સુધી સીમ પહોંચાડ્યું, ડિજિટલ એરેસ્ટમાં ઉપયોગ કર્યો

સાઇબર ક્રાઇમ કરતી ગેંગને સીમકાર્ડ પૂરી પાડનાર રોડ પર બેસીને છત્રી લગાવી સીમકાર્ડ વેચનાર એજન્ટ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ સીમકાર્ડ લેવા અથવા તો સીમકાર્ડને લગતું કોઈ કામ માટે જ્યારે છત્રી વાળા એજન્ટ પાસે આવતા ત્યારે છત્રી વાળો એજન્ટ કોઈ બહાનું બતાવી નાગરિકોના આઈડી પ્રૂફ પર તેમની જાણ બહાર સીમકાર્ડ મેળવી લેતા હતા. જે બાદ કમિશન પર આ સીમકાર્ડ અલગ અલગ સાઇબર ક્રાઇમ કરતા સાયબર ગેંગને વેચતા હતાં. અમદાવાદ સાઇબર ક્રાઇમમાં ડિજિટલ એરેસ્ટની એક ફરિયાદ થઇ હતી. આ બાબતે ફરિયાદીને જે નંબર પરથી ફોન આવ્યો તેની તપાસ કરી ત્યારે જે વ્યક્તિના નામનું સીમકાર્ડ હતું તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન વ્યક્તિએ જણાવ્યું હતું કે 14 અને 16 ઓગસ્ટના રોજ તે ચાંદલોડિયા તળાવ પાસે આવેલા એરટેલના એજન્ટને મળ્યા હતા. એજન્ટે અજાણ્યા શખ્સના નામે સીમકાર્ડ મેળવી લીધાઆ એરટેલ એજન્ટ રોડ પર છત્રી લગાવીને સીમકાર્ડ વેચી રહ્યો હતો ત્યારે તેઓ તેમના પિતાના નામથી પોતાના નામે સીમકાર્ડ કરાવવા માટે ગયા હતા તેના માટે તેમણે તેમના ડોક્યુમેન્ટ પણ આપ્યા હતા, પરંતુ એરટેલના એજન્ટે પ્રોસેસ થઈ ન હોવાનું જણાવી પરત મોકલ્યા હતા. આ દરમિયાન એરટેલના એજન્ટે તેમના નામે સીમકાર્ડ મેળવી લીધા હતા. ત્રણ આરોપીઓની ધરપકડ એજન્ટે જ આ સીમકાર્ડ સાઇબર ગઠીયાઓને વેચતો હોવાની શંકા હતી જેથી સાયબર ક્રાઇમ દ્વારા આ મામલે ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે ટેકનિકલ એનાલિસીસના આધારે આરોપીની ઓળખ કરી બે ટીમ બનાવી અમદાવાદ,રાધનપુર પાટણ અને રાજસ્થાન ખાતે મોકલવામાં આવી હતી જે ટીમે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.જેમાં વિજય રાવળ,શુભમ પરાડિયા અને કિરણ ઠક્કરની ધરપકડ કરી હતી. નવા સીમકાર્ડ લોકોની જાણ બહાર મેળવી લેતાઆરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે વિજય રાવળ નામનો આરોપી છત્રી વાળો એરટેલ એજન્ટ છે.જે છત્રી લઈને સીમકાર્ડ લગતું કામકાજ કરે છે.ફરિયાદીને તેમના પિતાજીના નામના સીમકાર્ડ ટ્રાન્સફર કરવાનું કહીને તેમના ડોક્યુમેન્ટ પર નવા સીમકાર્ડ તેમની જાણ બહાર મેળવી લીધા હતા અને 400 રૂપિયા કમિશન રાખી શુભમ પરાડીયા નામના આરોપીને આપ્યા હતા.શુભમ પરાડીયાએ આ સીમકાર્ડ 700 રૂપિયા કમિશન મેળવી કિરણ ઠક્કાને આપ્યા હતા.કિરણ ઠક્કરે આ સીમકાર્ડ મેળવી 1200 કમિશન લઈ આ સીમકાર્ડ 1,500 રૂપિયામાં દુબઈ મારફતે કંબોડિયા મોકલાવ્યા હતા. કંબોડિયા દેશમાં બેઠેલી સાયબર ગેંગની કરતૂતઆ રીતે મેળવેલા સીમકાર્ડનો ઉપયોગ ડિજિટલ એરેસ્ટ જેવા સાઇબર ક્રાઇમના ગુના આચરવા માટે કંબોડિયા સહિતના અલગ અલગ દેશમાં બેઠેલી સાયબર ગેંગ દ્વારા કરવામાં આવી રહ્યો છે. સાઇબર ગઠિયાઓ આવા અનેક લોકલ એજન્ટનો સંપર્ક કરી તેમની પાસેથી પૈસા આપીને સીમકાર્ડ મેળવી લે છે અને આ સીમકાર્ડ પરથી લોકોને ઠગીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવે છે. આ પ્રકારના ગુનામાં પોલીસ અહીંના લોકલ એજન્ટ સુધી પહોંચી શકે છે કારણકે મુખ્ય ભેજાબાજ આરોપીઓ વિદેશમાં બેસીને લોકોને ઠગતા હોય છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 9:16 pm

હાઇકોર્ટે સાબરમતીના બળદેવનગરના 29 અરજદારોની અરજી નકારી:રહેવાસીઓને મકાન ખાલી કરવા AMCએ નોટિસ આપી'તી, હાઇકોર્ટમાં પડકાર ફેંક્યો હતો

ગુજરાત હાઈકોર્ટે અચેર ગામના બળદેવનગર વિસ્તારમાં રહેતાં 29 રહેવાસીઓ દ્વારા દાખલ કરેલી અરજીઓને રદ્દ કરી છે. રહેવાસીઓએ AMC દ્વારા આપવામાં આવેલા ખસેડવાના આદેશને પડકાર્યો હતો, જેમાં રસ્તા પહોળા કરવાની યોજનાને કારણે જગ્યા ખાલી કરીને સત્તાધિકારીઓને સોંપવા જણાવાયું હતું. AMCની મકાન ખાલી કરવાની નોટિસ સામે હાઇકોર્ટમાં અરજીસાબરમતી તાલુકામાં બળદેવ નગરના 29 રહેવાસીઓએ પણ AMCની મકાન ખાલી કરવાની નોટિસ સામે હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ 29 અરજદારોએ એડવોકેટ વિક્રમ ઠાકોર મારફતે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં કહેવાયું હતું કે 21 મે ના રોજ AMC દ્વારા તેમને 07 દિવસમાં મકાનો ખાલી કરી દેવા નોટિસ પાઠવવામાં આવી હતી. આ વિસ્તાર બળદેવ નગર, અચેરમાં છે.અહીં 1984 માં રોડ બનાવવાની TP સ્કીમમાં જોગવાઈ કરાઈ હતી. પરંતુ જમીનના મૂળ માલિકે તેના પ્લોટ પાડો લોકોને ભાડે આપ્યા હતા. તેઓ 60 વર્ષથી અહીં રહી રહ્યા છે. 100 જેટલા પાકા મકાનો તૂટતા 01 હજાર જેટલા લોકોને અસરબળદેવનગરને સ્લમ ક્લિયરન્સ એરિયા જાહેર કરાયો છે. છત્તા તેના રીડેવલપમેન્ટની કોઈ વાત કરવામાં આવી નથી. તેઓએ કાનૂની રીતે વીજળી, પાણીના કનેક્શન મેળવેલ છે અને AMCનો ટેક્સ પણ ભરે છે. અહીં 24 મીટર પહોળો TP રોડ બનાવવાની વાત છે. આમ 1984 ની TP સ્કિમનો અમલ 41 વર્ષ બાદ કરાઈ રહ્યો છે. અહીં 100 જેટલા પાકા મકાનો તૂટતા 01 હજાર જેટલા લોકોને અસર થશે. ખરેખરમાં TP સ્કિમ 1984ની હવાલો અને ભારત 2036 માં ઓલિમ્પિકની યજમાની કરે તેવી શકયતાઓને જોતા આ વિસ્તારમાં વિકાસ કરાઈ રહ્યો છે. જેમાં 24 મીટર પહોળો રોડ બનાવવાની વાત છે. 49 અરજદારોએ AMC ની નોટિસને હાઇકોર્ટમાં પડકાર ફેંક્યો હતોહાઈકોર્ટે કહ્યું છે કે અરજદારોને અપીલમાં આપવામાં આવેલી સૂચના મુજબ જગ્યા ખાલી કરીને શાંતિપૂર્ણ રીતે સત્તાધિકારીઓને સોપવાની રહેશે. સાથે જ હાઈકોર્ટે અરજદારોને વૈકલ્પિક રહેઠાણ માટે યોગ્ય સત્તાધિકારીઓ પાસે અરજી કરવાની છૂટ આપી. હાઈકોર્ટે તેના આદેશને બે અઠવાડિયા સુધી સ્થગિત રાખ્યો છે. જેથી રહેવાસીઓ અપીલ કરી શકે.ઉલ્લેખનીય છે કે આવા જ બીજા એક કેસમાં અમદાવાદ શહેરના સાબરમતી તાલુકામાં આવેલા અચેર ગામના સુભાષનગરમાં રહેતા લોકોને AMC દ્વારા ગત એપ્રિલ મહિનામાં 07 દિવસમાં મકાનો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. જેની સામે AMC સમક્ષ રહેવાસીઓએ રજૂઆત પણ કરી હતી. જો કે તે રજૂઆત નકારી દેવાતા 49 અરજદારોએ AMC ની નોટિસને હાઇકોર્ટમાં પડકાર ફેંક્યો હતો. હાઇકોર્ટે અરજદારોની અરજી નકારી હાઇકોર્ટે ગત મે મહિનામાં અરજદારના વકીલ અને સરકારી વકીલને સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. જેને સપ્ટેમ્બર મહીનામાં જાહેર કરતા હાઇકોર્ટે અરજદારોની અરજી નકારી નાખીને શાંતિપૂર્ણ રીતે જગ્યા AMC ને સોંપવા હુકમ કર્યો હતો. અરજદારો તરફથી પુનઃવસનની માગસુભાષ નગરના 49 અરજદારોએ એડવોકેટ દિલીપ ગઢવી દ્વારા અરજી કરી કરી હતી. જેમાં જણાવાયુ હતું કે, તેઓ પાછલા 20થી 30 વર્ષોથી સુભાષનગર, અચેર ખાતે રહે છે. 2020માં આ ટીપી સ્કીમ ઉપરના વિસ્તારને સ્લમ એરિયા જાહેર કરાયો છે. તેના કાયદાને અનુસર્યા વગર જગ્યા ખાલી કરાવી શકાય નહીં. અરજદારોએ ઓથોરિટી સમક્ષ પણ રજૂઆત કરી હતી. અહીં વસતા લોકોના પાકા મકાનો છે. જેમાં કાયદેસરના વીજળી અને પાણીના કનેક્શન છે. તેઓ AMCનો ટેક્સ ભરે છે. પાકા મકાનો તોડીને રસ્તો બનાવવો જોઈએ નહીં, આ તેમના બંધારણીય હકોનો ભંગ છે. અરજદારો તરફથી પુનઃવસનની માંગ પણ કરવામાં આવી હતી. સરકારી વકીલની દલીલ મુજબ અહીં ટાઉન પ્લાનિંગ સ્કીમ ફાઇનલાઈઝ થઈ ચૂકી છે. તે દરમિયાન તેને પડકારવામાં આવેલ નથી. એક વખત ટાઉન પ્લાનિંગ સ્કીમ ફાઈનલ થઈ જાય ત્યારબાદ રોડ બનાવવા માટે જગ્યા ખાલી કરવી જ પડે. આ માટે સરકારી વગેરે કોર્ટના અગાઉના ચુકાદા પણ હાઇકોર્ટ સમક્ષ મૂક્યા હતા. 'નિયમો મુજબ જે લોકો લાયકાત ધરાવતા હશે, તેમનું પુનઃવસન થશે'બીજી તરફ કોર્ટે જણાવ્યું હતું કે સ્લમ્સ એક્ટ ફક્ત ભાડુઆતોને જ રક્ષણ આપે છે, માલિક અને કબજેદારોને નહીં. તે માટે તેમણે સરકારમાં રજૂઆત કરાવી પડે AMCના જણાવ્યા મુજબ TP સ્કીમના ફાઈનલાઈઝેશનને કોર્ટ સમક્ષ ચેલેન્જ કરાયેલ નથી. પ્લોટ 486ને સ્લમ અપગ્રેડેશન માટે રાખવામાં આવેલ છે. નિયમો મુજબ જે લોકો લાયકાત ધરાવતા હશે, તેમનું પુનઃવસન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 8:48 pm

મહિલાની માથું છુંદેલી હત્યામાં પતિ જ હત્યારો નીકળ્યો:પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો, ગઈકાલે સાંજે પોતાના પતિને પાણીપૂરી ખાવા જાઉં છું કહી ઘરેથી નીકળ્યાં હતાં

રાજકોટમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક મહિલાની માથું છુંદેલી હાલતમાં લાશ મળી આવી હતી અને પોલીસ તપાસમાં તેનો પતિ જ હત્યારો હોવાનું બહાર આવ્યું છે. ગઈકાલે ઘરથી 200 મીટર દૂર ખુલ્લા પટમાં મૃતદેહ મળી આવ્યો હતોરાજકોટના રાયધાર રોડ પાસે કોપર ગ્રીન સોસાયટી વિસ્તારમાં ગઈકાલે સાંજે પાણીપુરી ખાવા નીકળેલી મહિલાનો મૃતદેહ ગઈકાલે સવારે ઘરથી માંડ 200 મીટર દૂર ખુલ્લા પટમાં મળી આવ્યો હતો. મહિલાનું માથું છુંદાયેલું હતું અને ગંભીર ઈજાઓ હોવાથી હત્યાનો આક્ષેપ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, DCP ક્રાઈમ જગદીશ બાંગરવા સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પાણીપુરી ખાવા જાઉં છું, મને ત્યાંથી તેડતા જજોમહિલાના પતિ હિતેશભાઈ આસોડિયાએ જણાવ્યું હતું કે, મારી પત્નીએ ગઈકાલે રાત્રે મને ફોન કરી કહ્યું હતું કે પાણીપુરી ખાવા જાઉં છું. મને એમ પણ કહ્યું હતું કે, મને ત્યાંથી તેડતા જજો, જેથી હું બહારથી ઘરે આવતો હતો, ત્યારે ત્યાંથી નીકળ્યો પરંતુ મારી પત્ની મને ક્યાંય ન મળી. જે બાદ હું ઘરે આવ્યો ત્યારે ઘરની લાઈટ ચાલુ હતી. લોક ખોલ્યા બાદ હું અંદર ગયો તો તેનો મોબાઈલ પણ ચાર્જિંગમાં પડેલો હતો. અમારે નાના-મોટા ઝઘડો થતા હતા, પરંતુ આવો સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે મારી પત્નીનું મૃત્યુ થઈ જશે. મને માનવામાં આવતું નથી કે મારી પત્નીનું મૃત્યુ થયું છે. મારા ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા છે અને હું મારા પત્ની અને પુત્ર સાથે અહીં રહું છું. મારો બે વર્ષનો પુત્ર શિવાંશ છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 8:43 pm

આણંદમાં સાંસદ ખેલ મહોત્સવ 2025 સંપન્ન:3,000 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો, સાંસદે ઈનામો વિતરિત કર્યા

આણંદ જિલ્લામાં સાંસદ ખેલ મહોત્સવ 2025 સફળતાપૂર્વક સંપન્ન થયો છે. આ નવ દિવસીય રમતગમત મહાકુંભમાં 3,000 થી વધુ ખેલાડીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ મહોત્સવનું આયોજન આણંદ લોકસભાના સાંસદ મિતેષભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ખો-ખો, કબ્બડી, વોલીબોલ, રસ્સાખેંચ, બેડમિન્ટન, કરાટે, સ્વિમિંગ અને ચેસ જેવી આઠ વિવિધ રમતોમાં સ્પર્ધાઓ યોજાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને યુવા રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન હેઠળ આ મહોત્સવે જિલ્લાના રમતગમત ક્ષેત્રે નવો માઈલસ્ટોન સ્થાપ્યો છે. સ્પર્ધાઓ બે તબક્કામાં યોજાઈ હતી. પ્રથમ તબક્કામાં, આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો પર ગ્રાસરૂટ સ્તરે સ્પર્ધાઓ યોજવામાં આવી હતી, જેથી દરેક તાલુકાના પ્રતિભાશાળી ખેલાડીઓને ભાગ લેવાની તક મળી શકે. બીજા તબક્કામાં, બાકરોલ ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના યુગપુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જિલ્લા કક્ષાની ફાઇનલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવે આણંદ જિલ્લામાં રમતગમત સહભાગિતાનો નવો રેકોર્ડ સ્થાપ્યો હતો. સમાપન સમારોહમાં સાંસદ મિતેષભાઈ પટેલે વિજેતા ખેલાડીઓને ઈનામો વિતરિત કર્યા હતા અને તમામ સહભાગીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ગુજરાતના પ્રખ્યાત અઘોરી મ્યુઝિકનો જીવંત કોન્સર્ટ પણ યોજાયો હતો. ઈનામ વિતરણ સમારોહમાં સંબોધન કરતાં સાંસદ મિતેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે આણંદ જિલ્લાના 3000 થી વધુ યુવા ખેલાડીઓએ જે જુસ્સો અને સ્પોર્ટ્સમેનશિપ બતાવી છે, તે આપણા જિલ્લાનું ગૌરવ છે. આ માત્ર એક સ્પર્ધા નથી, આ આપણા યુવાનોને ઓલિમ્પિક તરફ લઈ જવાની યાત્રા છે. તેમણે ઉમેર્યું કે 2030માં ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ આવશે અને આજે અહીં રમનારા ખેલાડીઓમાંથી જ આવતીકાલના ચેમ્પિયન્સ નીકળશે. સાંસદ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 'ફિટ ઈન્ડિયા'ના વિઝનને સાકાર કરવા આણંદ જિલ્લાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ મહત્વપૂર્ણ ખેલ મહોત્સવને સફળ બનાવવામાં પાવરગ્રીડ, જેટકો, નાફેડ, અમુલ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ONGC અને બેંક ઓફ બરોડાએ નાણાકીય સહયોગ પૂરો પાડ્યો હતો. સાંસદ ખેલ મહોત્સવ 2025 માત્ર એક સ્પર્ધા નહીં, પરંતુ આણંદ જિલ્લાના રમતગમત ભવિષ્યની નવી શરૂઆત સાબિત થયો છે. આ મહોત્સવે દર્શાવ્યું કે જ્યારે સરકારી દૂરદર્શિતા, કોર્પોરેટ સહયોગ અને યુવાનોનો જુસ્સો એક થાય છે, ત્યારે અસાધારણ પરિણામો મળે છે. આણંદના આ યુવા ખેલાડીઓ આવતીકાલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચે ભારતનું ગૌરવ વધારશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 8:39 pm

વિધાર્થી જીવનમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનું મહત્વ પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન:પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિશેષ સત્રનું આયોજન

અમદાવાદના આશ્રમ રોડ પર આવેલ નવગુજરાત કેમ્પસ સ્થિત પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજ દ્વારા વિધાર્થી જીવનમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા નું મહત્વવિષય પર વિશેષ સત્રનું તા.24/11/2025નાં રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ બે કલાકના પ્રેરણાદાયી સત્રનું સંચાલન સ્વાધ્યાય પરિવારના સભ્યો કૌશલ શાહ, જૈમિન જોષી અને પાર્થ માંડલિકે કર્યું. કાર્યક્રમમાં 150થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ગીતા ની શિખામણો કેવી રીતે વ્યક્તિના ચરિત્ર, મનોબળ તથા એકાગ્રતા વિકસાવે છે તે અંગે માર્ગદર્શન આપ્યું. ખાસ કરીને *માગસર મહિનામાં ગીતા પાઠ*ના આધ્યાત્મિક અને વ્યવહારિક મહત્વ પર વક્તાઓએ પ્રકાશ ફેંક્યો. આ કાર્યક્રમનું સંચાલન ઈન-ચાર્જ ડો. માર્ગી દેસાઈ અને ડો. અરુણ મેનન દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ પ્રિન્સિપાલ ડો. એન. ડી. શાહ*ના કુશળ માર્ગદર્શન અને પ્રેરણાત્મક નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયો.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 8:38 pm

કચ્છ સરહદે વધુ એક પાકિસ્તાની યુગલ ઝડપાયું:રાપર નજીક BSF દ્વારા કુડા ગામ પાસેથી બન્નેને ઝડપ્યા, સઘન પૂછપરછ હાથ ધરાઈ

કચ્છના રાપર તાલુકાની આંતરરાષ્ટ્રીય સરહદ પરથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા વધુ એક પાકિસ્તાની યુગલને ઝડપી પાડવામાં આવ્યું છે. પીલર નંબર 1016 પાસે પાકિસ્તાનના મીઠી ગામના વતની પોપટ કુમાર (ઉંમર 24,) અને ગૌરીને પકડવામાં આવ્યા હતા. સરહદી વિસ્તાર કુડા ગામ પાસેથી આ બન્નેને ઝડપી પાડવામાં આવ્યાં છે. BSF દ્વારા પકડાયેલા યુગલની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે આવતીકાલે બાલાસર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા ખડીર અને રાપર તાલુકામાં અવારનવાર પાકિસ્તાની શખ્સો પકડાય છે. બે મહિના પહેલા પણ રતનપર ખડીર વિસ્તારમાંથી તોતો અને મીના નામના પાકિસ્તાની પ્રેમી પંખીડા ઝડપાયા હતા.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 8:26 pm

વડગામના ધારાસભ્ય મેવાણી વિરુદ્ધ ભુજમાં પોલીસ પરિવારની રેલી:કડક કાર્યવાહી અને રાજીનામાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પોલીસ વિભાગ અંગે કરાયેલા વિવાદિત નિવેદનના વિરોધમાં ભુજમાં પોલીસ પરિવારો દ્વારા રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ રેલી જિલ્લા ટ્રાફિક કચેરીથી શરૂ થઈને કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. રેલી દરમિયાન કેટલાક વેપારીઓએ પણ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને પોલીસ પરિવારોને સમર્થન આપ્યું હતું. પોલીસ પરિવારોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સુપરત કરીને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત, તેમણે મેવાણીને તેમના વિવાદિત નિવેદન બદલ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની પણ માંગ કરી હતી.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 8:17 pm

મુખ્યમંત્રી આવતીકાલે નવસારીની મુલાકાતે:'હાઈટેક ST ડેપો' સહિત 475 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે, 12 બસોને લીલી ઝંડી આપશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 25મી નવેમ્બરે નવસારી જિલ્લાની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ કુલ 475.08 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત, જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ પણ કરવામાં આવશે. નવસારી મહાનગરપાલિકા ટાઉન હોલ ખાતે મહાનગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે 205.07 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રીના હસ્તે જેટિંગ-સક્શન મશીનો, ટિપર્સ, ઈ-વ્હીકલ્સ અને જાહેર પરિવહનની 12 બસોને લીલી ઝંડી આપવામાં આવશે. લોકાર્પણ થનારા કામોમાં 5.41 કરોડ રૂપિયાના ખર્ચે જેટિંગ-સક્શન મશીનો, ટિપર્સ, ઈ-વ્હીકલ્સ અને 12 જાહેર પરિવહન બસોનો સમાવેશ થાય છે. આ સેવા સશક્તિકરણના કામો શહેરની સુવિધાઓમાં વધારો કરશે. ખાતમુહૂર્ત અંતર્ગત માળખાકીય સુવિધાઓના અનેક પ્રોજેક્ટ્સ હાથ ધરાશે. જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 6.12 કરોડના ખર્ચે મિથિલાનગરી બ્રિજ, 38.07 કરોડના ખર્ચે નવસારી રેલવે સ્ટેશન પર ઓવરબ્રિજનો થર્ડ એપ્રોચ બ્રિજ અને 6 કરોડના ખર્ચે રેલવે સ્ટેશન ફૂટ ઓવરબ્રિજ બનાવવાની કામગીરીનો સમાવેશ થાય છે. અન્ય મહત્વના ખાતમુહૂર્ત કાર્યોમાં 9.29 કરોડના ખર્ચે મલ્ટી-લેવલ પાર્કિંગ અને બસ ડેપો, 3.13 કરોડના ખર્ચે હેરિટેજ પ્રિસિન્ક્ટ ડેવલપમેન્ટ, 1.30 કરોડના ખર્ચે શાંતાદેવી માર્કેટ, 0.73 કરોડના ખર્ચે નવું સિવિક સેન્ટર, 1.89 કરોડના ખર્ચે હાંસાપોર ખાતે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, 3.76 કરોડના ખર્ચે કબીલપોર લેક ડેવલપમેન્ટ, 0.30 કરોડના ખર્ચે એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ, 1.75 કરોડના ખર્ચે સ્ટોર્મડ્રેઇન નેટવર્ક, 1.58 કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ સંપ, 1.73 કરોડના ખર્ચે સોલાર પેનલ્સ અને 2.50 કરોડના ખર્ચે નવીન પમ્પિંગ સ્ટેશનનો સમાવેશ થાય છે. વધુમાં, નવસારી મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ ચાર ગામોમાં પણ વિકાસ કાર્યો હાથ ધરાશે. હાંસાપોર, દાંતેજ અને ધારાગીરીમાં 46.72 કરોડના ખર્ચે ડ્રેનેજ અને વોટર સપ્લાય નેટવર્ક નાખવામાં આવશે. જ્યારે એરુ ગામમાં 64.47 કરોડના ખર્ચે ડ્રેનેજ અને વોટર સપ્લાય નેટવર્કનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ નવસારી શહેર અને આસપાસના ગામોના માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવશે. નવસારી જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત અંતર્ગત આજે મુખ્યમંત્રીના હસ્તે ₹93.93 કરોડના કુલ 12 લોકાર્પણ અને માટે ₹ 381.15 કરોડના 26 કામોના ખાતમૂહુર્ત મળી સમગ્ર જિલ્લામાં કુલ 38 કામો માટે કુલ ₹ 475.08 કરોડના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી, નવસારીના ₹ 5.16 કરોડના ખર્ચે 04 કામો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ₹ 82.07 કરોડના ખર્ચે બનાવેલ અધ્યતન સુવિધાયુક્ત બસડેપો, કાર્યપાલક ઈજનેરની કચેરી, ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લી.સુરતના 16.64 કરોડના ખર્ચે 1 કામ, કાર્યપાલક ઇજનેરની કચેરી, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), નવસારીના ₹ 166.15 કરોડના ખર્ચે 5 કામો અને નવસારી મહાનગરપાલિકાના ₹ 205.07 કરોડના ખર્ચે 27 કામોનુ લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરાશે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 8:15 pm

સુરેન્દ્રનગર પોલીસે 1193થી વધુ આરોપીઓની તપાસ કરી:રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ રોકવા 807ના ડોઝીયર્સ તૈયાર કર્યા

પોલીસ મહાનિદેશક, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા 17 નવેમ્બર, 2025ના રોજ એક સૂચના જારી કરવામાં આવી હતી. આ સૂચના મુજબ, છેલ્લા 30 વર્ષમાં હથિયાર ધારા, એન.ડી.પી.એસ. એક્ટ, એક્સપ્લોઝિવ એક્ટ, બનાવટી ચલણી નોટો, ટાડા, પોટા, મકોકા, યુ.એ.પી.એ. અને પેટ્રોલિયમ ધારા જેવા વિવિધ કાયદા હેઠળ પકડાયેલા આરોપીઓની તપાસ કરવાની હતી. તેમનો ઉદ્દેશ્ય તેમની વર્તમાન પ્રવૃત્તિઓ ચકાસીને પરિવાર, મિત્રો, સંબંધીઓ, મિલકતો અને સંપર્કો જેવી માહિતી એકત્રિત કરીને ડોઝિયર્સ તૈયાર કરવાનો હતો. આ સૂચનાના આધારે, રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS) દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં 100 કલાકની સમય મર્યાદામાં ઉપરોક્ત ગુનાઓમાં પકડાયેલા આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ આ માટે 75થી વધુ પોલીસ અધિકારી/કર્મચારીઓની ટીમો બનાવી હતી. જિલ્લાના 20 પોલીસ સ્ટેશન, SOG, LCB અને પેરોલ સહિત કુલ 70 ટીમો દ્વારા ઉપરોક્ત ગુનાઓના 1193થી વધુ આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ ટીમો દ્વારા અલગ-અલગ સ્થળોએ કોમ્બિંગ હાથ ધરીને 100 કલાકની કામગીરી દરમિયાન 807થી વધુ આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા અને તેમનું વેરિફિકેશન કરવામાં આવ્યું. તપાસ દરમિયાન, 31 આરોપીઓ હાલમાં જેલમાં હોવાનું જણાયું હતું, જેમની જેલની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. કોમ્બિંગ દરમિયાન હાજર મળી આવેલા તમામ વ્યક્તિઓની વર્તમાન અને ગુનાહિત પ્રવૃત્તિઓની ચકાસણી કરવામાં આવી હતી. તેમની પરિવાર, મિત્રો, સંબંધીઓ, મિલકતો, સંપર્કો, આધાર કાર્ડ, બેંક વિગતો અને સોશિયલ મીડિયાની માહિતી એકત્રિત કરીને ડોઝિયર્સ ફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે. વધુમાં, આ આરોપીઓના અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ અથવા પ્રવૃત્તિઓ તેમજ દેશમાં ક્યાંય પણ આચરેલા ગુનાઓની ચકાસણી માટે ICJS પોર્ટલ અને e-GujCop જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવી છે. આમ, રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે 100 કલાકની અંદર ગુનાહિત આરોપીઓને શોધી કાઢી તેમની પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહી છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 8:11 pm

ઉત્તરાખંડમાં બસ અકસ્માતમાં વડોદરાના મુસાફરનું મોત:ખત્રી પોળમાં રહેતા પરિવારને કલેકટર તંત્ર દ્વારા જાણ કરવામાં આવી, મંગળવારે સાંજે કે બુધવારે નશ્વર દેહ વડોદરા લવાશે

ઉત્તરાખંડના ટિહરીમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં પડી જતાં પાંચ લોકોનાં મોત થયાં છે. ટિહરીના પોલીસ અધીક્ષક આયુષ અગ્રવાલે અકસ્માતની પુષ્ટિ કરી છે. આ આખી ઘટનામાં 17થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી સાતની હાલત ગંભીર છે. મૃતકોમાં દિલ્હી, ગુજરાત, યુપી અને બેંગલુરુના લોકોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં વડોદરાના મુસાફરનું પણ મોત થયું છે. ખત્રી પોળમાં રહેતા પાર્થસારથી જોશીનું મોતવડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલ ખત્રી પોળમાં રહેતા પાર્થ સારથી મધુસુદન જોશી ઉંમર વર્ષ 60)નું આ દુઃખદ ઘટનામાં મોત નીપજ્યું છે. આ ઘટના અંગેના દુઃખદ સમાચાર મળતા ત્રણે બહેનો પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તેઓના પરિવારમાં એકમાત્ર ભાઈ સહારો હતો. આજે ત્રણ બહેનોએ પોતાનો ભાઈ ખોયો છે ત્યારે તેઓ પોતાના ભાઈના આ મોતના સમાચારથી માનવા તૈયાર નથી કે તેઓનો ભાઈ હવે આ દુનિયામાં નથી. મૃતદેહને વડોદરા લાવવામાં આવશેહાલમાં આ સમગ્ર ઘટના અંગે વડોદરા કલેક્ટર તંત્ર દ્વારા સારવાર તેઓના પરિવારમાં જાણ કરવામાં આવી છે. તેઓના મૃતદેહને વતન વડોદરા લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ વડોદરા ખાતે લાવવામાં આવશે. આવતીકાલે મોડી સાંજે કે પરમ દિવસે પાર્થ સારથી મધુસુદન જોશીનો મૃતદેહ વડોદરા આવી શકે છે. પાર્થીસારથી 19 તારીખે વડોદરાથી દહેરાદૂન ટ્રેનમાં નીકળ્યા હતાવડોદરા શહેરના ખત્રી પોળમાં બનેલી ઘટનાને લઇ વડોદરા પૂર્વ મામલતદાર અલ્પેશ જોશીએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડમાં બનેલી માર્ગ અકસ્માતની ઘટનામાં વડોદરાના પાર્થ સારથી મધુસુદન જોશીનું દુઃખદ અવસાન થયું છે. તેઓ ચાર પાંચ દિવસ પહેલા ગયા હતા અને બીજી તારીખે પરત આવવાના હતાં. તેઓના ઘરે ત્રણ બહેનો છે. તેઓના મૃતદેહ અંગેની વિગતો આપીશું. મૃતદેહ ત્યાંથી નિકળે પછી આ બાબતે ખબર પડશે. પાર્થ સારથી જોશી 19 નવેમ્બરે વડોદરાથી ટ્રેન મારફતે દેહરાદુન જવા નીકળ્યાં હતાં. 1 ડિસેમ્બરે પાર્થ સારથી જોશી વડોદરા પરત આવવાનાં હતાં. વડોદરાથી મથુરા અને મથુરાથી દેહરાદૂન ટ્રેન મારફતે પહોંચ્યા હતાં. ઋષિકેશમાં શિબિરમાં ભાગ લેવા ગયા હતાં.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 8:09 pm

“યોગ માત્ર કસરત નહીં, મહિલાઓનું રક્ષણકવચ અને જીવનશૈલી છે”:ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો યોગ સંવાદ કાર્યક્રમ, રાજ્યમાં 5000થી વધુ નિઃશુલ્ક યોગ વર્ગો ચાલુ

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે યોગ સંવાદ અને સ્નેહ મિલન કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શિતા શાહે જણાવ્યું હતું કે, યોગ માત્ર કસરત નથી પરંતુ જીવનશૈલી છે અને દરેક મહિલાનું રક્ષણકવચ છે, જે તેમને સ્વસ્થ શરીર અને શાંત મન આપે છે. તો ચેરમેન શીશપાલે સહજ શૈલીમાં સૌને યોગ ટ્રેનર બનવા માટે પ્રેરિત કર્યા હતા અને યોગ બોર્ડ સાથે ટ્રેનર-કોચ તરીકે જોડાવાના ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમના માર્ગદર્શન હેઠળ ધ્યાન સત્ર પણ યોજાયું હતું. વર્ષ 2019 માં સ્થપાયેલું યોગ બોર્ડ હાલમાં રાજ્યમાં 1200 યોગ કોચ, 1,53,000 ટ્રેનર્સ અને 5000થી વધુ નિઃશુલ્ક યોગ કક્ષાઓ દ્વારા યોગનો વ્યાપક પ્રસાર કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં મેયર નયના પેઢડિયા, ધારાસભ્ય રમેશ ટીલાળા, ડેપ્યુટી કલેક્ટર ચાંદની પરમાર સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 26 નવેમ્બરે મનપાની 8 દુકાનોની હરરાજી, રૂ. 20થી 32.80 લાખ અપસેટ પ્રાઇઝરાજકોટ મહાપાલિકા દ્વારા પુનિતનગર પાણીના ટાંકા સામેના રોડ પર શ્યામલ વાટીકા પાસે બનાવવામાં આવેલી શ્રી મનસુખભાઇ છાપીયા ટાઉનશીપમાં રહેલી આઠ દુકાનોની જાહેર હરરાજી તા. 26ના સવારે 9 વાગ્યે સ્થળ પર રાખવામાં આવી છે. એસ્ટેટ વિભાગે જણાવ્યા મુજબ મીની સુપર માર્કેટ, દુધની ડેરી, કલીનીક, બ્યુટી પાર્લર, સલુન માટે વિશાળ પાર્કિંગ, લોનેબલ, દરેક દુકાનમાં અટેચ ટોયલેટ સહિતની સુવિધા સાથેની આ દુકાનોની હરાજીમાં ભાગ લેવા તા. 25 સુધીમાં મનપા એસ્ટેટ શાખા ત્રીજા માળે (ઢેબર રોડ) ખાતે રૂ. બે લાખ ડિપોઝીટ જમા કરાવવાની રહેશે. ગ્રાઉન્ડ ફલોરની 8 દુકાનોની સાઇઝ 23.41 ચો.મી.થી માંડી 36.9 ચો.મી. છે. જેની અપસેટ કિંમત 20.80 લાખ, 32.30 લાખ અને 32.40 લાખ રાખવામાં આવી છે. દરેક આસામીએ 10 હજારના રાઉન્ડ ફીગરમાં બોલી લગાવવાની શરત છે. ગેરકાયદેસર બાંધકામ મુદ્દે 1 લાયસન્સ સસ્પેન્ડ, 19ને નોટિસરાજકોટમાં ગેરકાયદે બાંધકામની ગેરપ્રવૃત્તિમાં સામેલ આર્કિટેક્ટ અને ઇજનેરો સામે મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં ભ્રષ્ટ કડી તોડવાના ભાગરૂપે, એક ઇજનેર વિપુલ કાસમપરાનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને 19 આર્કિટેક્ટ સહિત કુલ 20 પ્રોફેશનલ્સને ખુલાસા માટેની નોટિસ ફટકારવામાં આવી છે. આ માહિતી તાજેતરમાં સામાન્ય સભામાં જાહેર કરાઈ હતી. છેલ્લા દોઢ વર્ષમાં મનપાએ ત્રણેય ઝોનમાં મળી 19 આર્કિટેક્ટને નોટિસ આપી છે. જોકે, ગેરકાયદે બાંધકામોની કુલ 3033 નોટિસમાંથી અડધાથી વધુ નોટિસ પૂર્વ ઝોનમાં હોવા છતાં, ત્યાં માત્ર 1 આર્કિટેક્ટને નોટિસ આપવામાં આવી છે, જે મનપાની કાર્યવાહીમાં વિસંગતતા દર્શાવે છે. ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ શરૂ થયેલી ઝુંબેશ અને ઇમ્પેક્ટ ફી કાયદા છતાં જે 9,883 જેટલા બાંધકામો નિયમિત નહીં થઈ શક્તા તે ગેરકાયદેસર સાબિત થયા છે. આ વધારાના બાંધકામો માટે ઇજનેર અને આર્કિટેક્ટને જવાબદાર ઠેરવી પગલાં લેવાનું ચાલુ રાખવામાં આવનાર હોવાનું મનપાએ જાહેર કર્યું છે. BIS માર્ક વગરના ઉત્પાદકો પર ભારતીય માનક બ્યુરોની કડક કાર્યવાહીભારતીય માનક બ્યુરો રાજકોટ શાખાના અધિકારીઓએ તાજેતરમાં BIS સ્ટાન્ડર્ડ માર્ક વિનાના ઉત્પાદકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. મેટોડામાં આવેલી એક્ટિવ પ્લસ મેન્યુફેક્ચરર્સ પ્રાઇવેટ લિમિટેડ અને ઓમ એનર્જી ઇક્વિપમેન્ટ દ્વારા BIS માર્ક વિના સંગ્રહિત પાણીની ટાંકીઓ, કાચની ટ્યુબ્સ અને સોલાર વોટર હીટિંગ સિસ્ટમનું ઉત્પાદન અને વેપાર કરવામાં આવતો હતો. શોધ અને જપ્તીની કાર્યવાહી દરમિયાન, ઓમ એનર્જી ઇક્વિપમેન્ટ પાસેથી વિવિધ પ્રકારની સંગ્રહિત પાણીની ટાંકીઓ, કાચની ખાલી ટ્યુબ્સ અને સોલાર વોટર હીટિંગ સિસ્ટમ માટેની કુલ 14 ટાંકીઓ સહિત રૂ. 2 લાખની કિંમતનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો.તેવી રીતે, એક્ટિવ પ્લસ મેન્યુફેક્ચરર્સ પ્રાઇવેટ લિમિટેડ ખાતેથી વિવિધ પ્રકારની પાણીની ટાંકીઓ, કાચની ખાલી ટ્યુબ્સ અને સોલાર વોટર હીટિંગ સિસ્ટમ માટેની કુલ 53 ટાંકીઓ જપ્ત કરવામાં આવી હતી, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 7.5 લાખ છે. આ કાર્યવાહી કાર્યાલયના નિયામક સત્યેન્દ્ર કુમાર પાંડે, નાયબ નિયામક રાહુલ રાજપૂત, સહાયક નિયામક શુભમ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. BIS અધિકારીઓએ ગ્રાહકોને ISI માર્ક અને લાઈસન્સ નંબર તપાસવા માટે BIS Care App નો ઉપયોગ કરવાની અને આવા દુરુપયોગની જાણ BIS કાર્યાલયને કરવા અનુરોધ કર્યો છે. ખેલ મહાકુંભ 2025: U-17 ફૂટબોલમાં S.G.V.P રીબડા ચેમ્પિયન બન્યુંરમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરોટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત જિલ્લા રમતગમત અધિકારી, રાજકોટના સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભ 2025 અંતર્ગત U-17 બોયઝ (રાજકોટ રૂરલ) ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટનાં ફાઈનલ્સમાં S.G.V.P રીબડા સ્કૂલની ટીમે અદભૂત ટીમવર્ક દ્વારા પ્રથમ સ્થાન મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. જ્યારે રનર-અપ તરીકે ગોંડલની ગંગોત્રી સ્કૂલની ટીમે ઉત્કૃષ્ટ રમત દેખાડીને દ્વિતીય સ્થાન હાંસલ કર્યું હતું અને સેકન્ડ રનર-અપ તરીકે D.P.S ની ટીમે સતત પ્રયત્ન, શિસ્ત અને નિષ્ઠાના આધારે તૃતીય સ્થાન મેળવ્યું હતું. રાજકોટ જિલ્લામાં રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે આવા કાર્યક્રમો સતત આયોજિત થતા રહે છે, જેનાથી યુવાઓમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ અને આરોગ્યમય જીવનશૈલીનો વિકાસ થાય છે. કાલે ‘સાધુ વાસવાણી મીટલેસ ડે’ નિમિત્તે કતલખાના બંધ રાખવા હુકમરાજકોટમાં આવતીકાલ તા. 25-11ના રોજ સાધુ વાસવાણી મીટલેસ ડે નિમિત્તે મહાપાલિકા વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ માંસ-મટન-મચ્છી અને ચીકનનું વેંચાણ કરવા ઉપર મહાપાલિકાએ પ્રતિબંધ મુકયો છે. આ જાહેરનામાનો ભંગ કરવા બદલ GPMC એકટ 1949ની કલમ 329 અને 336 તથા બાયલોઝ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેમ કમિશનર તુષાર સુમેરાએ યાદીમાં જણાવ્યું છે. રાજકોટમાં રવિવારે UPSC ની પરીક્ષા, 913 ઉમેદવારો એક્ઝામ આપશેયુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આગામી તા.30ને રવિવારે એકાઉન્ટન્ટ સહિત વિવિધ કેડરની પરીક્ષા લેવામાં આવનાર છે. રાજકોટ કેન્દ્રમાં આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય તે માટે જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે સેન્ટર ઉપરાંત આઈપી મિશન અને કેન્દ્રીય વિદ્યાલય મળી કુલ ચાર સેન્ટર પરથી આ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવનાર છે. 913 જેટલા ઉમેદવારો આ પરીક્ષામાં બેસનાર છે. પરીક્ષા સેન્ટરો પરથી સવારના 9-30થી 11-30 કલાકે આ સ્પર્ધાત્મક કસોટીનું પેપર લેવામાં આવનાર છે. આ સ્પર્ધાત્મક પરીક્ષા દરમિયાન ચોરી અને ગેરરીતિની કોઈ ઘટના ન બને તે માટે ખાસ પ્રબંધો કરવામાં આવેલ છે. અહીં એ ઉલ્લેખનીય છે કે યુપીએસસીની આ સ્પર્ધાત્મક પરીક્ષા રાજકોટ સહિત દેશભરના નિયત કરેલા કેન્દ્રો પરથી લેવામાં આવનાર છે. આ પરીક્ષા અંગેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 8:06 pm

15 બહેનોને સિલાઈ મશીન મળ્યા:બોટાદમાં ઉષા કંપની અને અંધજન મંડળ દ્વારા તાલીમ બાદ વિતરણ

બોટાદ: ઉષા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી અંધજન મંડળ અમદાવાદ દ્વારા આસ્થા સ્નેહનું ઘર, બોટાદ ખાતે સિલાઈ મશીન તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 15 બહેનોને સિલાઈ મશીન તાલીમ બાદ મશીનનું વિતરણ કરવામાં આવ્યું. આ તાલીમ વર્ગો 13 નવેમ્બરથી શરૂ થઈને નિયમિત 12 દિવસ સુધી ચાલ્યા હતા. જેમાં 10 દિવ્યાંગ પરિવારજનો અને 5 અન્ય બહેનો સહિત કુલ 15 બહેનોને સિલાઈ મશીન રિપેરિંગ, સિલાઈ કામ, કટિંગ અને સિલાઈના તમામ કૌશલ્યની તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન, કંપની દ્વારા દરેક બહેન માટે સિલાઈ કામનું તમામ મટીરીયલ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજકોટથી ટ્રેનર સનોફર અજમેરીએ બાર દિવસ સુધી ઉપસ્થિત રહીને તમામ બહેનોને તાલીમ આપી હતી. સિલાઈ તાલીમ પૂર્ણ થયા બાદ, ઉષા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ તરફથી આ 15 બહેનોને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અનસુયાબેન ભરાડ, બીનાબેન ભરાડ, ઉષા કંપનીના કો-ઓર્ડીનેટર ઋષિકેશ સાહુ, અંધજન મંડળ અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર ભરત જોશી, પ્રભુ ફતેપરા, રાજુ માણિયા, રમણીકભાઇ ધોળુ, નટુ ફતેપરા, તેમજ આસ્થા સંસ્થાના લાલજી કળથીયા અને સંસ્થા સંચાલક પ્રકાશ ભીમાણી ઉપસ્થિત રહ્યા હતા. આસ્થા સંસ્થાના સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો. સિલાઈ મશીન મેળવનાર લાભાર્થી બહેનોએ જણાવ્યું હતું કે અત્યાર સુધી તેઓ નાના-મોટા કામ કરીને ઘરને મદદરૂપ થતી હતી. પરંતુ હવે સિલાઈ કામ અને મશીન રિપેરિંગની તાલીમ મળ્યા બાદ અને નવું મશીન મળવાથી તેઓ સિલાઈ કામ કરીને પોતાના પરિવારને વધુ સારી રીતે મદદરૂપ થઈ શકશે. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સિલાઈ મશીન પર કામ કરીને તેઓ સારી કમાણી કરી શકશે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 8:01 pm

Editor’s View : ભારત કાંઈક મોટું કરવાના મૂડમાં?:સિંધનું નામ લઈ રાજનાથસિંહનો પાકિસ્તાનને મેસેજ, પાડોશી દેશે પણ ભારતને ચેતવણી આપી દીધી

તમે યાદ રાખજો, આજે નહિ તો કાલે. એક દિવસ PoK આપમેળે ભારતમાં ભળી જશે ને તે પણ કહેશે કે 'હું પણ ભારત છું'. 2 મહિના પહેલાં રાજનાથસિંહે આ વાત કરી હતી. પછી તરત તેમણે કચ્છના સિર ક્રિકમાંથી પણ પાકિસ્તાનને ધમકાવ્યું હતું. હવે, રાજનાથસિંહે દિલ્હીમાં યોજાયેલા સિંધી સંમેલનમાં કહ્યું કે, જ્યાં સુધી જમીનની વાત છે તો બોર્ડર ગમે ત્યારે બદલાઈ પણ શકે છે, કાલે સિંધ ભારતમાં ફરીથી પાછું આવે. રાજનાથસિંહે સિંધ પ્રાંતનો મુદ્દો છંછેડતાં જ પાકિસ્તાન ભડક્યું છે. પાકિસ્તાને રીતસરની ચીમકી આપી છે કે રાજનાથસિંહ અને ભારતના બીજા નેતાઓ સમજી વિચારીને બોલે, નહિતર પરિણામ સારું નહિ આવે. નમસ્કાર, આપણે એ યાદ રાખવાની જરૂર છે કે ઓપરેશન સિંદૂર હજી પૂરું થયું નથી. પાકિસ્તાને તેની આતંકી હરકતો બંધ કરી નથી તો ભારતે પણ પાકિસ્તાનને લાલ આંખ બતાવવાનું બંધ કર્યું નથી. રાજનાથસિંહ હોય, CDS હોય, આર્મી ચીફ હોય કે એરફોર્સ ચીફ હોય... છેલ્લા છ મહિનામાં દરેકે એવા નિવેદન આપ્યા છે, જેનાથી પાકિસ્તાન અકળાયું હોય. રાજનાથસિંહે કરી આ મહત્વની વાતો.... પ્રાચીનાં સિંધુ સોવિરા, સૌરાષ્ટ્ર દક્ષિણા પથા આ શ્લોકથી જ ખ્યાલ આવી જાય છે કે સિંધુ પ્રદેશ રાજા દશરથના રાજ્યનો ભાગ હતો. સિંધ એ ક્ષેત્ર છે જ્યાં વેદ, જ્ઞાન સૌથી પહેલાં આવ્યું છે. ઓમકારનો ઉચ્ચાર પણ અહિ સૌથી પહેલાં થયો છે. આપણી સભ્યતા સપ્તસિંધુના રૂપમાં ઓળખાય છે. બીજા દેશોમાં ભારતની ઓળખ જ સિંધુ નદીથી થાય છે. જેને રોમન લોકો ઈન્ડસ રિવર કહે છે. રાજનાથસિંહના નિવેદન પર પાકિસ્તાન ભડક્યું રાજનાથસિંહના ભાષણ પછી પાકિસ્તાનનું રિએક્શન સામે આવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક લેટર જાહેર કરીને કહ્યું છે કે પાકિસ્તાનના સિંધ પ્રાંતના સંબંધમાં ભારતીય રક્ષામંત્રીના ભ્રમથી ભરેલા અને ખતરનાક બદલાવની માગ કરનારા નિવેદનની પાકિસ્તાન કડક શબ્દોમાં નિંદા કરે છે. આ પ્રકારના નિવેદન વિસ્તારવાદી હિન્દુત્વ માનસિકતાને ઊજાગર કરે છે. આ નિવેદન આંતરરાષ્ટ્રીય કાયદા, માન્યતા પ્રાપ્ત બોર્ડર અને રાજ્યોની સંપ્રભુતાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. અમે રાજનાથસિંહ અને અન્ય ભારતીય નેતાઓને આગ્રહ કરીએ છીએ કે તે બંને દેશોની શાંતિ અને સ્થિરતાને જોખમમાં મૂકવાના નિવેદનો આપવાનું બંધ કરે. ભારત સરકાર લઘુમતીઓની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રીત કરે. પાકિસ્તાનને શું ડર છે? ભારત અગાઉ પણ કહી ચૂક્યું છે કે ઓપરેશન સિંદૂર ખતમ થયું નથી. તે પોઝ કરવામાં આવ્યું છે. ભારતમાં જો ફરીથી આતંકી હુમલો થશે અને તેના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા નીકળશે તો ઓપરેશન સિંદૂર પાર્ટ-2 ફરી ચાલુ કરવામાં આવશે. 10 નવેમ્બરે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ થયો તેના તાર પાકિસ્તાનમાં જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા નીકળ્યા છે. એનો મતલબ એવો થયો કે ટૂંક સમયમાં ભારત પણ નક્કી કાંઈક મોટું ઓપરેશન કરવાની તૈયારી કરે છે. હાલમાં ભારતની ત્રણેય પાંખે 'ઓપરેશન ત્રિશૂલ'નામથી કવાયત કરી હતી. આ કવાયત માટે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ એવું કહેલું કે, દુશ્મન દેશ અટકચાળો કરે તો તેને પાડી દેવા માટે જ આ કવાયત થઈ રહી છે. બીજું, મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ જાણવા મળ્યું છે કે પાકિસ્તાને રાજનાથસિંહના નિવેદનને ધમકીના સૂરમાં લઈ લીધું છે એટલે ભારત ગમે ત્યારે મોટું પગલું ભરી શકે તેવા ડરથી પાકિસ્તાને LOC અને ઈન્ટરનેશનલ બોર્ડર પર સૈનિકોની સંખ્યા ડબલ કરી નાખી છે. જે રીતે પાકિસ્તાનની હાલત છે તે જોતાં માધુરી દીક્ષિતનું ગીત યાદ આવી જાય, ધક ધક કરને લગા... મોરા જીયરા ડરને લગા... સિંધીઓએ અલગ સિંધિસ્તાનનું સપનું જોયું હતું આઠમી સદીની શરૂઆતનો સમય હતો. 17 વર્ષનો છોકરો ઘોડા પર સિરિયાના દમિશ્કથી ભારત તરફ આગળ વધી રહ્યો હતો. તેના નિશાને ભારતનું સમૃદ્ધ પ્રાંત હતું. તેના રસ્તામાં જે પણ આવ્યા તેને મારીને તે આ પ્રાંતમાં પહોંચ્યો ને તરખાટ મચાવી દીધો. એ પ્રાંત હતો સિંધ પ્રાંત. આ વર્ષ હતું 1712. જ્યારે ભારતમાં ઈસ્લામની એન્ટ્રી થાય છે. એ છોકરાનું નામ હતું મોહમ્મદ બિન કાસીમ. એ કાસીમ, જેને પાકિસ્તાન પહેલો પાકિસ્તાની માને છે. મોહમ્મદ બિન કાસીમે સિંધના રાજા દાહીરને હરાવીને સિંધ પર કબજો કરી લીધો હતો. આ સિંધ ભારતનું પહેલું હિન્દુ રાજ્ય હતું. સિંધ પ્રાંત ભારતથી અલગ કેવી રીતે થયો? 1936 સુધી સિંધ, ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે મળીને બોમ્બે પ્રોવિન્સનો ભાગ હતું. સિંધમાં મુસ્લિમો અને હિન્દુઓ સંયુક્ત રીતે તેના અલગ પ્રાંત માટે ઝુંબેશ ચલાવતા હતા. સિંધના લોકોએ ફરિયાદ કરી હતી કે મરાઠી અને ગુજરાતી સમુદાયોના વર્ચસ્વને કારણે તેમના અધિકારો અને પરંપરાઓની અવગણના કરવામાં આવી રહી છે. 1913માં હરચંદ્રાય નામના એક હિન્દુએ સિંધ માટે અલગ કોંગ્રેસ વિધાનસભાની માંગણી કરી હતી. 1936માં સિંધને અલગ પ્રાંત તરીકે બનાવવામાં આવતાં ત્યાંનું રાજકીય વાતાવરણ બદલાવા લાગ્યું. 1938માં આ જ ધરતી પરથી અલગ પાકિસ્તાનની માંગણી ઉભી થઈ. સિંધની રાજધાની કરાચીમાં મુસ્લિમ લીગના વાર્ષિક અધિવેશનમાં મોહમ્મદ અલી જિન્હાએ સત્તાવાર રીતે મુસ્લિમો માટે અલગ દેશ પાકિસ્તાનની માંગણી કરી. 1942માં સિંધ વિધાનસભાએ પાકિસ્તાનની માંગણી કરતો ઠરાવ પસાર કર્યો. આ સમયે સિંધના લોકોને ખ્યાલ નહોતો કે ભાગલા તેમને બરબાદ કરશે. ઠરાવના માત્ર પાંચ વર્ષ પછી 1947માં ભારત બે ભાગમાં વહેંચાઈ ગયું. બાકીના પાકિસ્તાનની જેમ, અહીંના હિન્દુઓને પણ પોતાના ઘર છોડીને ભારતમાં સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આ રીતે અલગ સિંધ પ્રાંત પાકિસ્તાનમાં જતો રહ્યો. સિંધ પ્રાંત વિશે આટલું જાણો... કચ્છમાંથી રાજનાથસિંહે પાકિસ્તાનને શું ચીમકી આપી હતી? કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ 2 ઓક્ટોબરે ભુજના મિલિટરી બેઝ પર પહોંચ્યા હતા. ત્યાં તેમણે આર્મી અને BSFના જવાનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને લેહથી સર ક્રીક સુધીની ભારતની ડિફેન્સ સિસ્ટમમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો. ભારતીય સેનાએ બદલો લેતાં પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમને બેનકાબ કરી દીધી. ભારતીય સેનાએ વિશ્વને સંદેશ આપ્યો કે તે જ્યારે પણ અને જ્યાં ઈચ્છે ત્યાં પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડી શકે છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરમાં તેના તમામ ઉદ્દેશો સફળતાપૂર્વક પ્રાપ્ત કર્યા, જોકે સરહદ પારના આતંકવાદ સામેની લડાઈ ચાલુ રહેશે. વિશ્વની કોઈપણ શક્તિ આપણી સાર્વભૌમત્વને પડકારશે તો ભારત ચૂપ રહેશે નહીં. 1965ના યુદ્ધમાં ભારતીય સેના લાહોર સુધી પહોંચી ગઈ હતી. 2025માં પાકિસ્તાને યાદ રાખવું જોઈએ કે કરાચીનો એક રસ્તો ક્રીક થઈને જ જાય છે. એ વખતે પણ પાકિસ્તાન ભડક્યું હતું. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે 5 ઓક્ટોબરની રાત્રે ધમકીના સૂરમાં નિવેદન આપ્યું કે જો આ વખતે યુદ્ધ ફાટી નીકળશે તો ભારત તેના જ ફાઇટર જેટના કાટમાળ નીચે દટાઈ જશે. ભારતીય લીડરશિપ તેની ખોવાયેલી વિશ્વસનીયતા પાછી મેળવવા માટે ભડકાઉ નિવેદનો આપી રહ્યું છે. નવી દિલ્હી જાણીજોઈને તણાવ વધારે છે, જેથી નાગરિકોનું ધ્યાન દેશની અંદરની સમસ્યાઓથી ભટકી જાય. છેલ્લે, ભારતના રાષ્ટ્રગીત જન,ગણ,મન…માં સિંધ પ્રાંતનો ઉલ્લેખ છે. એક સમયે સિંધનો ઉલ્લેખ કાઢી નાખવા માટે અદાલતમાં અરજી થઈ હતી. પણ અદાલતે એ અરજી કાઢી નાખી હતી. કારણ કે એ વાત માત્ર ને માત્ર પ્રાંત સાથે જોડાયેલી નથી. ભાષા, પ્રદેશ અને લાગણી સાથે જોડાયેલી છે. રાજનાથસિંહ જે બોલ્યા છે તે સૂચક, માર્મિક છે. સિંધ ભારતનો ભાગ રહેશે કે બોર્ડર બદલાઈ જશે તે સમય કહેશે પણ અત્યારે તો રાજનાથસિંહે સાગઠી મારી લીધી છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ... આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 8:00 pm

સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય ગ્રંથ વચનામૃતની 206 મી જયંતીની ઉજવણી:સુરત વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુલમાં પૂજન, વાંચન કરવામાં આવ્યું

સ્વામિનારાયણ ગુરુકુલ, વેડ રોડ, સુરત ખાતે આજે વચનામૃત જયંતી ની વહેલી સવારે 6-00 કલાકે પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામી, પ્રભુ સ્વામી, ભંડારી સ્વામી , જસદણ, નવસારી, ભરૂચથી પધારેલા ધર્મનંદન સ્વામી, હરિમુકુંદ સ્વામી, દેવપ્રકાશ સ્વામી વગેરે સંતો તથા હરિભક્તોએ પૂજન કર્યું હતું. 1819 થી 1829 દરમ્યાન ભગવાન સ્વામિનારાયણ, સંતો અને હરિભક્તો વચ્ચે થયેલ સત્સંગ - કથાવાર્તામાંથી 262 જેટલા વચનામૃત તૈયાર કરાયા. જેમાં ૬ર૧ જેટલા જીવન ઉપયોગી તથા મોક્ષ ઉપયોગી પ્રશ્ન પુછાયા છે. ભગવાનની વાણી તે ભગવાનનું સ્વરૂપ છે એ ગ્રંથરાજ વચનામૃતના જ 108 નામ મંત્રોના ગાન સાથે પુષ્પ પાંખડી , વસ્ત્ર, નૈવેદ્ય અર્પણ કરી આરતી ઉતારવામાં આવેલ. પ્રાતઃકાળે ભગવાન શ્રી સ્વામિનારાયણનો પંચામૃત તથા ફળોના રસથી મહાભિષેક કરવામાં આવેલ. સંતો તથા હરિભક્ત મહિલા પુરુષોઓએ સમૂહમાં વચનામૃતનું વાંચન કર્યું હતું. આ પ્રસંગે પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે વચનામૃતના સિદ્ધાંતો કાળમાં કટાય કે લક્ષ્યને ચૂકવે તેવા નથી. વધુમાં તેઓએ કહેલ કે વિચક્ષણ બુદ્ધિશાળીઓએ બુદ્ધિ કસીને ઘડેલા કોઈપણ દેશના બંધારણને પણ કાળની સૂક્ષ્મ કાતર કદ પ્રમાણે વેતરી નાંખે છે. સમય જતા જમાના સાથે કદમ મિલાવવા નિયમોની સાંકળને મરોડવી જ પડે છે. જ્યારે ભગવાનને જ આપેલા સર્વગ્રાહી, લોકભોગ્ય, ભાવિ દેશકાળને સમજીને કહેવાયેલ હોય છે આ ગ્રંથમાં આજ સુધી કોઈ સિદ્ધાંતની બાંધછોડ કરવાની જરૂર પડી જ નથી. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના વ્યવહારિકતા સાથે અધ્યાત્મ ગ્રંથ વચનામૃતમાં શબ્દોનો આડંબર, શબ્દોની સાંઠમારી, ભ્રમજાળ કે ભારેખમ શબ્દોનો ઉપયોગ ક્યાંય થયો નથી. અભણને અઘરો ન લાગે અને વિદ્વાનને સહેલો ન લાગે એવો આ વચનામૃતગ્રંથ ધર્મ, અર્થ,કામ અને મોક્ષ રૂપી પુરુષાર્થને ઈચ્છતા જીવોને નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચાડનારો ગ્રંથ છે . 206 વર્ષ પહેલા વચનામૃત પ્રારંભનું નિદર્શન શ્રી વિશ્વસ્વરૂપદાસ સ્વામીએ એનિમેટેડ વિડિયો દ્વારા દર્શાવ્યું હતું. શાસ્ત્રી થ્રી મંગલસ્વરૂપદાસજી સ્વામીએ સંસ્કૃત મંત્રોચ્ચાર સાથે વચનામૃતનું પૂજન કરાવેલ અને કહેલું કે આજે ભંડારી સ્વામીએ વચનામૃતના 105 પાઠ પૂર્ણ કરેલ છે. જેને ભાવિકોએ તાલિકાવાદન સાથે ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 7:57 pm

ઘરેલુ હિંસા અધિનિયમ –2005 અંતર્ગત સેમિનાર યોજાયો:મહિલાઓને 181, આપાતકાલીન સહાય, કાયદાકીય માર્ગદર્શન સહિતની સમજ અપાઈ

પોરબંદર જિલ્લા પંચાયત ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ – ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મહિલાઓને તેમના હિતલક્ષી વિવિધ કાયદાકીય જોગવાઈઓ અને સહાય સેવાઓ વિશે માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમ દરમિયાન, મહિલાઓને ૧૮૧ અભયમ હેલ્પલાઇનનો ઉપયોગ, આપાતકાલીન સહાય, કાયદાકીય માર્ગદર્શન, સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મળતી સહાય, તાત્કાલિક પોલીસ સહાય અને મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ જેવા મહત્વના વિષયો પર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સેમિનારની શરૂઆતમાં, ૧૮૧ અભયમ ટીમના પ્રતિનિધિ સેજલબેને ૧૮૧ નંબરના ઉપયોગ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ૧૮૧ અભયમ એક ૨૪x૭ મફત હેલ્પલાઇન છે, જે મહિલાઓ અને કિશોરીઓને આપાતકાલીન સહાય, કાયદાકીય માર્ગદર્શન અને કાઉન્સેલિંગ પૂરું પાડે છે. જરૂર પડ્યે સ્પેશિયલ વાહન સાથે ટીમ સ્થળ પર પહોંચે છે અને ઘરેલુ હિંસા કે માનસિક પીડા જેવી સ્થિતિમાં ઉપયોગી બને છે. ત્યારબાદ, સખી વન સ્ટોપ સેન્ટરના કેસ વર્કર કિરણબેને સેન્ટરની કામગીરી અને બહેનોને મળતી સહાય વિશે સમજાવ્યું હતું. સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓ અને બાળાઓ સામેના તમામ પ્રકારની હિંસા માટે કાયદાકીય સહાય, કાઉન્સેલિંગ અને તાત્કાલિક આશ્રય જેવી સેવાઓ એક જ જગ્યાએ પૂરી પાડે છે. આ કેન્દ્ર મહિલાઓ માટે વિશેષ રીતે રચાયેલું છે, જ્યાં તેઓ પોતાના પર થયેલી હિંસા, શોષણ કે અન્ય કોઈપણ પીડા વિશે સુરક્ષિત રીતે ફરિયાદ કરી શકે છે. અહીં મહિલા અધિકારીઓ દ્વારા સંવેદનશીલતા અને ગુપ્તતા સાથે પીડિત મહિલાઓને કાયદાકીય માર્ગદર્શન, તાત્કાલિક પોલીસ સહાય, મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ અને જરૂર પડ્યે સુરક્ષા પણ આપવામાં આવે છે. જીલ્લા બાળ વિકાસ એકમના લીગલ એક્સપર્ટ યોગેશ નાનેરાએ ઘરેલુ હિંસા અધિનિયમ – ૨૦૦૫ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આ કાયદો ભારત સરકાર દ્વારા ઘરમાં મહિલાઓ પર થતી શારીરિક, માનસિક, આર્થિક, જાતીય કે ભાવનાત્મક હિંસા સામે સુરક્ષા અને ન્યાય માટે બનાવવામાં આવ્યો છે. આ અધિનિયમ હેઠળ મહિલાઓ ફરિયાદ નોંધાવી શકે છે અને કાઉન્સેલિંગ તેમજ આર્થિક સહાય જેવી જોગવાઈઓનો લાભ લઈ શકે છે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને સલામત જીવન જીવવાનો હક અને ઘરમાં તેમના અધિકારોનું રક્ષણ કરવાનો છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 7:52 pm

ગોધરામાં પાંચ ગાડીઓમાંથી 37 પશુઓનું રેસ્ક્યૂ:બે ઝડપાયા, ત્રણ ફરાર; ₹16.90 લાખનો મુદ્દામાલ જપ્ત

ગોધરા તાલુકામાં પોલીસે ગેરકાયદેસર પશુઓની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પેટ્રોલિંગ દરમિયાન પાંચ ગાડીઓમાંથી કુલ 37 પશુઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રણ ફરાર થવામાં સફળ રહ્યા હતા. પોલીસે આશરે ₹16.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન સંતરોડથી ઘોઘંબા તરફ કતલના ઈરાદે પશુઓ લઈ જવામાં આવી રહ્યા હોવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે બ્લુપુરા રેલ્વે ફાટક નજીક ચેકિંગ ગોઠવવામાં આવ્યું હતું. પોલીસને જોઈને પાંચમાંથી ત્રણ વાહનચાલકો ગાડીઓ છોડીને ભાગી છૂટ્યા હતા. જોકે, પોલીસે બે વાહનચાલકોને ઘટનાસ્થળેથી પકડી પાડ્યા હતા. ગાડીઓની તપાસ કરતા તેમાં નાના-મોટા પાડા, ભેંસો અને પાડીઓને ક્રૂરતાપૂર્વક, ખીચોખીચ અને જીવલેણ હાલતમાં તંગ દોરડાઓથી બાંધેલા મળી આવ્યા હતા. પોલીસે કુલ 31 પાડા, 4 ભેંસો અને 2 પાડી સહિત 37 પશુઓનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પશુઓ ઉપરાંત, પોલીસે બે મોબાઈલ ફોન, પાંચ વાહનો અને દોરડાં સહિત કુલ ₹16.90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ પશુઓને સુરક્ષિત રીતે જીવદયા ધામ, પાંજરાપોળ પરવડી ખાતે મોકલવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં હનીફ મોહમંદ પુવાલીયા અને ઇક્લાસ યુસૈન પિંજારાનો સમાવેશ થાય છે. ફરાર થયેલા ત્રણ વાહનચાલકોની શોધખોળ ચાલુ છે. આ સમગ્ર મામલે ગોધરા તાલુકા પોલીસમથકે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસની આ ઝડપી અને સક્રિય કામગીરીને કારણે મોટા પ્રમાણમાં થઈ રહેલી પશુઓની ગેરકાયદેસર હેરાફેરી અને તેમના પ્રત્યેની ક્રૂરતા અટકાવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 7:49 pm

અમદાવાદમાં રાત્રે 12 સુધી ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે:શહેરના ટ્રાફિક પોઈન્ટ પર પોલીસકર્મીઓ બે શિફ્ટમાં ફરજ બજાવશે

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે પણ ટ્રાફિક રહેતો હોય છે. જેના કારણે ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા પોલીસકર્મીઓની શિફ્ટમાં ફેરફાર કરીને રાત્રિના 11થી વધારી 12 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના ટ્રાફિક પોઈન્ટ પર ટ્રાફિક પોલીસકર્મીઓ રાત્રિના 11 વાગ્યા સુધી ફરજ બજાવતા હતા જે હવે 12 વાગ્યા સુધી બજાવશે. શહેરના ટ્રાફિક પોઈન્ટ પર સવારની શિફ્ટ 7-30 થી બપોરે 15-30 સુધી અને બપોરની શિફ્ટ 3 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધીની હતી. જેમાં હવે સવારની શિફ્ટનો સમય યથાવત રખાયો છે. પરંતુ, બપોરની જે શિફ્ટ છે તેમાં ફેરફાર કરી બપોરે 3-30 થી રાત્રિના 12 વાગ્યા સુધીની કરવામાં આવી છે. ટ્રાફિક પોઈન્ટ પર રાત્રિના 12 સુધી પોલીસકર્મીઓ તૈનાત રહેશે. જેના કારણે કેટલાક વિસ્તારમાં મોડી રાત્રે સર્જાતા ટ્રાફિકજામને નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 7:41 pm

વધુ એક વાવાઝોડાનો ખતરો! વિકરાળ રૂપ ધારણ કરી શકે છે ચક્રવાત 'સેન્યાર', આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Cyclone Senyar Update by IMD: ભારતીય હવામાન વિભાગ(IMD)ના જણાવ્યા અનુસાર, મલેશિયા અને તેની પાસેના મલક્કા સ્ટ્રેટ ઉપર સર્જાયેલું લો પ્રેશર વધુ સક્રિય થઈ રહ્યું છે. લો પ્રેશર ધીરે-ધીરે બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. આવતીકાલે 25 નવેમ્બરના રોજ કોમોરિન અને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને શ્રીલંકાના આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર થવાની સંભાવના છે. જેમાં આગામી 24 કલાકમાં દક્ષિણ આંદામાન સમુદ્ર પર ડિપ્રેશનમાં તીવ્ર બનવાની સંભાવના છે. આ સિસ્ટમ 26 નવેમ્બરની આસપાસ ચક્રવાત 'સેન્યાર' (Cyclone Senyar) વિકરાળ રૂપ ધારણ કરી શકે છે. વધુ એક વાવાઝોડાનો ખતરના કારણે 25થી 29 નવેમ્બર દરમિયાન આંદામાનથી ઓડિશા કિનારા સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે.

ગુજરાત સમાચાર 24 Nov 2025 7:28 pm

BJPના સત્તાવાર X એકાઉન્ટને લઈને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા:આયર્લેન્ડથી ઓપરેટ થતું હોવાનો દાવો કર્યો, કોંગ્રેસ કહ્યું, ભાજપનો રાષ્ટ્રવાદના નામે પ્રચાર, પણ સંચાલન વિદેશથી!

ગુજરાત BJPનું સત્તાવાર X એકાઉન્ટને લઈને કોંગ્રેસે આકરા સવાલ ઊભા કર્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સોશિયલ મીડિયા ટીમ દ્વારા એક ખુલાસો કરવામાં આવ્યો છે. ગુજરાત BJPનું સત્તાવાર X એકાઉન્ટ આયર્લેન્ડથી ઓપરેટ થતું હોવાનો પુરાવા આપી દાવો કરવામાં આવ્યો છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું X એકાઉન્ટ આયર્લેન્ડથી ઓપરેટ થતું હોવાનું ટ્રાન્સપરન્સી ફીચર દ્વારા દર્શાવવામાં આવ્યું હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ગુજરાતના યુવાન પર અને IT પર ભરોસો ના હોવાથી વિદેશથી ઓપરેટ થતું હોવાના આકરા સવાલ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટતા કરે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. ભાજપનું X એકાઉન્ટ આયર્લેન્ડથી ઓપરેટ થતું હોવાનો દાવોગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ઓફિસિયલ X એકાઉન્ટ વિદેશમાંથી ઓપરેટ કરવામાં આવે છે. શું ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓને ગુજરાતના યુવાનો પર કે ગુજરાતના IT પર ભરોસો નથી શા માટે વિદેશથી ઓપરેટ કરવા પડે છે ? રાજકીય લેવલે જે પણ ચર્ચા થાય છે તે વિદેશના એકાઉન્ટ ચલાવતા લોકો જોતા હોય છે. જેથી ડેટાની સુરક્ષા પર પણ ગંભીર બાબત છે. ભારતીય જનતા પાર્ટીએ વિદેશમાંથી કોણ એકાઉન્ટ ઓપરેટ કરે છે તેની પણ માહિતી જાહેર કરવી જોઈએ. આયર્લેન્ડથી ઓપરેટ થતું હોવાનો દાવો કર્યોવધુમાં હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, જ્યાં એક તરફ ભાજપ 'મેક ઇન ઇન્ડિયા' અને 'વોકલ ફોર લોકલ'ના સૂત્રોચ્ચાર કરીને રાષ્ટ્રીયતાનો ઝંડો લહેરાવે છે, ત્યાં જ બીજી તરફ ગુજરાતની જનતા સુધી પહોંચવા માટેનું પોતાનું સત્તાવાર ડિજિટલ પ્લેટફોર્મ વિદેશી ભૂમિ પરથી સંચાલિત કરાવે છે, જે એક મોટો વિરોધાભાસ છે. રાષ્ટ્રવાદના નામે માત્ર મતો લેવામાં આવે છે. એવું થયું કે મતદારો બ્રાઝિલના અને એકાઉન્ટના ઓપરેટરો આઇલેન્ડના આ પ્રકારની પરિસ્થિતિનું ભારતીય જનતા પાર્ટીમાં નિર્માણ થયું છે. ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોએ મામલે ખુલાસો કરવો જોઈએ.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 7:19 pm

નાસતો ફરતો આરોપી પાટણ ખાતેથી દબોચાયો:બી ડિવિઝનના બોગસ સીમકાર્ડ કેસના વોન્ટેડ આરોપી પ્રીતેષ ઠક્કરને SOG એ પાટણ રોડ પરથી પકડાયો..

જુનાગઢ શહેર તેમજ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે,જે અંતર્ગત જૂનાગઢ SOG ની ટીમે એક મહત્ત્વની સફળતા હાંસલ કરી છે. જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના બોગસ સિમકાર્ડ કૌભાંડના ગુનામાં છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ આરોપીને SOGની ટીમે પાટણ જિલ્લાના સિંહોરી રોડ ખાતેથી દબોચી લીધો છે.જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી પ્રીતેષ ઠક્કર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.આ ગુનાની તપાસ SOG પીઆઈ આર.કે. પરમાર ચલાવી રહ્યા હતા.SOG ની ટીમે ટીમે ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધવા માટે સઘન પ્રયાસો કર્યા હતા.તે દરમિયાન SOG ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ગુનામાં સંડોવાયેલો અને પકડવાનો બાકી હોય તેવો આરોપી પ્રીતેષ હર્ષદભાઇ ઠક્કર રહે. અમદાવાદ હાલ પાટણ સિંહોરી રોડ ખાતે હાજર છે.​ આ બાતમીના આધારે SOGની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. અને આરોપી પ્રીતેષ હર્ષદભાઇ ઠક્કરને પાટણ સિંહોરી રોડ પાસેથી ઝડપી લીધો હતો.પકડાયેલ આરોપી વિરુધ બોગસ સિમકાર્ડ કૌભાંડ એક ગંભીર ગુનો છે. કારણ કે આવા સિમકાર્ડનો ઉપયોગ સાયબર ક્રાઇમ અને છેતરપિંડી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થઈ શકે છે. આરોપીની ધરપકડ બાદ SOG દ્વારા આ બોગસ સિમકાર્ડ કૌભાંડના નેટવર્ક અને તેના ઉદ્દેશ્ય અંગે વધુ સઘન પૂછપરછ અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.​ આ કામગીરીમાં SOGના પી.આઇ આર.કે. પરમારની ,પો.હેડ કોન્સ્ટેબલ પ્રતાપભાઇ શેખવા,પો. કોન્સ્ટેબલ રોહીતભાઇ ધાધલ, કૃણાલ પરમાર અને વિશાલભાઇ ડાંગર સહિતના સ્ટાફના માણસો જોડાયા હતા. જૂનાગઢ SOGની આ કાર્યવાહીથી ગુનાખોરી આચરીને અન્ય જિલ્લામાં છુપાઈ રહેલા આરોપીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 7:18 pm

પોરબંદર ખાતે મહાનગરપાલિકા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ:વિવિધ કેટેગરીમાં 26 બહેનો સહિત 51 ખેલાડીઓએ ભાગ લીધો

પોરબંદર ખાતે મહાનગરપાલિકા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કેટેગરીમાં કુલ ૫૧ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગરની પ્રેરણા હેઠળ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત કરવામાં આવી હતી. જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા ખેલ મહાકુંભ–૨૦૨૫ના ભાગરૂપે તેનું સંચાલન કરાયું હતું. સ્પર્ધાનું આયોજન ડો. વી. આર. ગોઢાણીયા મહિલા કોલેજ, ખીજડી પ્લોટ, પોરબંદર ખાતે થયું હતું. આ ચેસ સ્પર્ધા અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭, ઓપન એઈજ તેમજ ૪૦ વર્ષથી ઉપર અને ૬૦ વર્ષથી ઉપરની ભાઈઓ અને બહેનોની વિવિધ કેટેગરીમાં યોજાઈ હતી. આ સ્પર્ધામાં ૨૫ ભાઈઓ અને ૨૬ બહેનો સહિત કુલ ૫૧ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 7:17 pm

મુંબઈને ટ્રાફિકથી મુક્ત કરવા 'પાતાળ લોક' બનાવશે સરકાર! CM ફડણવીસે આપ્યો માસ્ટર પ્લાન

Mumbai Traffic Tunnel Network : મુંબઈમાં વધતા ટ્રાફિક જામની સમસ્યાનો ઉકેલ લાવવા માટે મહારાષ્ટ્ર સરકારે મહત્ત્વનો પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે. પ્રોજેક્ટના પ્રસ્તાવ હેઠળ શહેરની નીચે એક વિશાળ ભૂગર્ભ ટનલ નેટવર્ક બનાવવામાં આવી રહ્યું છે. પ્રોજેક્ટની માહિતી આપનાર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેને પાતાળ લોક નામ આપ્યું છે. આખા રાજ્યમાં ભૂગર્ભ ટનલ લાઈન બિછાવાશે : ફડણવીસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઈટેડ નેશન્સ (IIMUN)ના યૂથ કનેક્ટ કાર્યક્રમમાં ફડણવીસે કહ્યું કે, ભૂગર્ભ ટનલની લાઈન અનેક દિશાઓમાં અને આખા રાજ્યમાં ફેલાયેલી હશે.

ગુજરાત સમાચાર 24 Nov 2025 7:14 pm

અફઘાનિસ્તાનની ભારતને મોટી ઓફરઃ સોના-લિથિયમની ખાણોમાં રોકાણ કરો, પાંચ વર્ષ ટેક્સ નહીં

Afghanistan Offers Indian Investors 5-Year Tax Break for Gold Mining : અફઘાનિસ્તાને ભારતીય કંપનીઓને તેના આશરે 1 ટ્રિલિયન ડોલરના ખનીજ ભંડારમાં રોકાણ કરવાનું આમંત્રણ આપ્યું છે. અફઘાનિસ્તાનમાં રાજકીય અસ્થિરતાના કારણે છેલ્લા ઘણાં સમયથી સોના અને લિથિયમની ખાણો નિષ્ક્રિય પડી છે. અફઘાનિસ્તાનનો હેતુ સોના અને લિથિયમ જેવા કિંમતી ખનીજો ધરાવતા વિસ્તારોમાં રોકાણ આકર્ષીને રોજગારી સર્જન કરવપાનો છે. ભારત સરકારે પણ આ સંભવિત તકને આવકારી છે, પરંતુ સાથે કોઈ પણ પ્રોજેક્ટ્સમાં આગળ વધતા પહેલા 'સાવધાની' રાખવાની અને કેટલાક મુખ્ય અવરોધો દૂર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. અફઘાનિસ્તાનના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી અલહાજ નૂરુદ્દીન અઝીઝી તાજેતરમાં જ ભારતની મુલાકાતે હતા.

ગુજરાત સમાચાર 24 Nov 2025 7:14 pm

સાંસદ-રેલવે અધિકારીઓએ સલાલ સ્ટેશનની મુલાકાત લીધી:ફૂટ-ઓવર બ્રિજ, રોડ અપગ્રેડેશન મુદ્દે સ્થાનિકોની રજૂઆતો સાંભળી

સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના સાંસદ શોભનાબેન બારૈયા અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતેના જૂના રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ સ્થાનિકોની વિવિધ રજૂઆતો સાંભળવાનો હતો. ગ્રામજનો દ્વારા લાંબા સમયથી સલાલ ગામથી બજાર, બસસ્ટેન્ડ અને બાળકોની શાળાએ જવા માટે રેલવે ક્રોસિંગમાંથી પસાર થવાની સમસ્યા અંગે રજૂઆતો કરવામાં આવી હતી. ટ્રેનોની વધતી ઝડપ અને સતત અવરજવરને કારણે અકસ્માતનો ભય રહેતો હતો. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સલાલમાં ફૂટ-ઓવર બ્રિજ (FOB) બનાવવાની માંગણી કરવામાં આવી હતી. ગ્રામજનોની આ રજૂઆતને ધ્યાનમાં રાખીને, સાંસદ અને રેલવે અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, સલાલ બજારથી ગટર લાઇનને રેલવે ક્રોસ કરવા માટે પણ મંજૂરી આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સલાલથી મોયદને જોડતો રસ્તો અને સલાલ રેલવે અંડરબ્રિજને મોટા બ્રિજમાં અપગ્રેડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આનાથી હાર્વેસ્ટર અને અન્ય મોટા વાહનો સરળતાથી પસાર થઈ શકશે. વધુમાં, સલાલ ચોકડીનો રોડ અને ‘અંબાજી માતાજીનું નાળિયું’ તરફના જૂના ફાટકનો રોડ પણ પહોળો અને પાકો કરવામાં આવશે. રાવળવાસ અને પાછળના ફળિયા તરફ જતો રસ્તો રેલવે માર્ગ સાથે જોડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન સરપંચ રીટાબેન, ડેપ્યુટી સરપંચ લક્ષ્મણભાઈ, પંચાયત સભ્યો ચંદનસિંહ બારૈયા, મૂળજીભાઈ, જયંતીભાઈ રાવળ, હસમુખસિંહ પરમાર સહિત પૂર્વ સરપંચ મનુભાઈ સોલંકી, પૂર્વ તાલુકા સભ્ય લાલસિંહ ચૌહાણ, શૈલેષસિંહ બારૈયા, ધવલસિંહ બારૈયા, યોગેશભાઈ પટેલ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 7:14 pm

કાર લોક થઈ જતાં બાળક અંદર ફસાયું, VIDEO:પિતા કારમાં જ ચાવી રાખી બહાર ગયા હતા, સ્થાનિકોએ સેલોટેપની મદદથી દરવાજો ખોલી બહાર કાઢ્યું

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં પોલીસ સ્ટેશન નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પિતાની બેદરકારીને કારણે તેમનું માસૂમ બાળક કારની અંદર ફસાઈ ગયું હતું. જોકે, સ્થાનિક લોકોની સમયસૂચકતા અને સતર્કતાને કારણે બાળકનો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી મુજબ, સેલવાસ પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારમાં એક પિતા પોતાના બાળકને કારમાં મૂકીને કોઈ કામ અર્થે બહાર ગયા હતા. તેઓ કારમાંથી ઉતર્યા કે, તરત જ કારનું સેન્ટ્રલ લોક બંધ થઈ ગયું હતું, જેના કારણે અંદર બેઠેલું માસૂમ બાળક કારમાં ફસાઈ ગયું હતું. કારમાં ફસાયેલા બાળકને જોઈને આસપાસના સ્થાનિક લોકો તુરંત મદદે દોડી આવ્યા હતા. લોકોએ સમય બગાડ્યા વિના સતર્કતા દાખવી અને કારનો લોક ખોલવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. સ્થાનિકોએ સેલોટેપની મદદથી આખરે અડધો કલાકની મહેનત બાદ કારનો લોક ખોલ્યો હતો. ફસાયેલા બાળકને સહી-સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું, જેનાથી ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના માતા-પિતા માટે એક ગંભીર ચેતવણી સમાન છે કે બાળકની સુરક્ષા પ્રત્યેની સહેજ પણ બેદરકારી કેટલું મોટું જોખમ ઊભું કરી શકે છે. જાહેર સ્થળોએ કે વાહનમાં બાળકને એકલું મૂકતી વખતે પૂરતી સાવચેતી રાખવી અનિવાર્ય છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 7:09 pm

1008 તીર્થોનું સંગમસ્થાન:SGVP ગુરુકુલ મેમનગરમાં 'તીર્થ માટી યાત્રા'થી અખંડ ભારતનો નજારો

અમદાવાદના સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગરના સુવર્ણ જયંતી મહોત્સવ નિમિત્તે '૧૦૦૮ તીર્થોની માટી યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા ગુરુકુલના ૨૨ ડિસેમ્બરથી ૧૧ જાન્યુઆરી દરમિયાન યોજાનાર ૫૧ કુંડી 'મહાવિષ્ણુયાગ' માટે યજ્ઞશાળાના નિર્માણ પૂર્વે યોજાઈ હતી. સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામી અને પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી આ મહાયજ્ઞ મહોત્સવનું આયોજન થયું છે. યજ્ઞશાળાના નિર્માણ માટે ભારતના ૧૦૦૮ પાવન તીર્થધામોની માટી એકત્રિત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. ભારતીય સંસ્કૃતિમાં માટીને માત્ર ધરતીનો અંશ નહીં, પરંતુ પવિત્ર તીર્થક્ષેત્રોની અખંડ ઊર્જાનું પ્રતીક મનાય છે. તીર્થભૂમિની માટીમાં સંતોના તપ, ઋષિઓના આશીર્વાદ અને કરોડો ભક્તોની શ્રદ્ધાનો સંગમ થયેલો હોય છે. આ માટીને યજ્ઞશાળાના પાયામાં સ્થાપિત કરવાનો હેતુ યજ્ઞને સમગ્ર ભારતની પવિત્રતા અને આધ્યાત્મિક ચેતનાથી સિંચવાનો છે. છ માસના લાંબા સમયગાળા દરમિયાન, ગુરુકુલના સ્વયંસેવકોએ ઉત્તરમાં બદરીનાથથી દક્ષિણમાં રામેશ્વરમ્ સુધી અને પૂર્વમાં જગન્નાથપુરીથી પશ્ચિમમાં દ્વારકાધીશની નગરી સુધીની યાત્રા કરી હતી. આ યાત્રામાં અનેક તીર્થો, પવિત્ર નદીઓ અને સરોવરોની માટી ભક્તિભાવપૂર્વક એકત્રિત કરવામાં આવી હતી. ૨૧ નવેમ્બર, ૨૦૨૫ના રોજ, અમદાવાદના ગુરુકુલ રોડ પર આવેલ એચ.બી. કાપડિયા સ્કૂલના વિશાળ ગ્રાઉન્ડથી આ સંગ્રહિત માટીની 'તીર્થ માટી યાત્રા'નો ભવ્ય પ્રારંભ થયો. આ યાત્રામાં હજારો સંતો, વિદ્યાર્થીઓ અને ભક્તજનો પીળાં વસ્ત્રોમાં સજ્જ થઈને જોડાયા હતા. પ્રત્યેક ભક્તજનોએ ૧૦૦૮ તીર્થોની માટીને શણગારેલી ટોપલીઓમાં રાખી, તેને પોતાના મસ્તક ઉપર ધારણ કરી હતી. ડી.જે.ના ભક્તિસભર તાલે અને 'સ્વામિનારાયણ' મહામંત્રની ધૂન-ભજનના નાદ સાથે ભક્ત સમૂહ ગુરુકુલ તરફ આગળ વધ્યો. માર્ગની બંને બાજુએ આ દિવ્ય દૃશ્ય જોવા માટે જનમેદની ઉમટી પડી હતી. જ્યારે માટી યાત્રા ગુરુકુલના પ્રાંગણમાં પ્રવેશી, ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, અને વાતાવરણ ૧૦૦૮ તીર્થોની ઊર્જાથી તરબોળ થઈ ગયું.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 7:08 pm

સુરતમાં ગીતા શ્લોક ગાન સ્પર્ધા યોજાઈ:133 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, 11 ઝોન કક્ષા માટે પસંદ

સુરતની સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયમાં ચિન્મય સેવા ટ્રસ્ટ દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા 22 નવેમ્બર, 2024ના રોજ શનિવારે યોજાઈ હતી. તેનો મુખ્ય હેતુ 'ગીતા ગાઓ, શીખો, સમજો અને જીવો'ને સાર્થક કરવાનો હતો. આ સ્પર્ધામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના કુલ 133 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના 15મા અધ્યાય પુરુષોત્તમ યોગના 20 શ્લોકનું ગાન કર્યું હતું. કુલ 116 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાંથી 11 વિદ્યાર્થીઓની ઝોન કક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે. ભાગ લેનાર અને પસંદગી પામેલા તમામ વિદ્યાર્થીઓને પૂજ્ય સંતો, શાળાના આચાર્ય અરવિંદભાઈ ઠેસિયા અને ચિન્મય સેવા ટ્રસ્ટના નિર્ણાયકો આચાર્યા બ્રહ્મચારિણી સુધા ચૈતન્ય તથા ભક્તિબેન દેસાઈએ અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 7:06 pm

સિલ્વર ઓક યુનિવર્સિટીમાં આર્ટ ટીચર મીટ યોજાઈ:કલા શિક્ષણ, AI અને અભ્યાસક્રમમાં સ્થાન પર ચર્ચા

સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે આર્ટ ટીચર મીટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના ડિઝાઇન અને માર્કેટિંગ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ શહેરોના આર્ટ અને ડિઝાઇન શિક્ષકોએ ભાગ લીધો હતો. આ મીટ સર્જનાત્મકતા અને શિક્ષણ વચ્ચેના સક્રિય મંચ તરીકે ઉભરી આવી હતી. કાર્યક્રમ દરમિયાન, શિક્ષકોએ સર્જનાત્મકતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ચર્ચાનો મુખ્ય મુદ્દો એ હતો કે આર્ટ અને ડિઝાઇન માત્ર વ્યાવસાયિક કલાકારો માટે જ નહીં, પરંતુ દરેક વ્યક્તિના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ વિષયો દ્વારા વિચારશક્તિ અને સમસ્યા નિરાકરણ કૌશલ્યો વિકસે છે. આ સત્રમાં, અનેક શિક્ષકોએ પોતાના જીવનના અનુભવો અને વાર્તાઓ રજૂ કરી હતી. તેમણે કળાએ તેમની દૃષ્ટિ, કારકિર્દી અને વ્યક્તિત્વના ઘડતરમાં કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે તે અંગે પ્રકાશ પાડ્યો હતો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વિષય પર પણ નોંધપાત્ર ચર્ચા થઈ હતી. શિક્ષકોએ સ્વીકાર્યું કે AI એ જીવન અને સર્જનાત્મક પ્રક્રિયાઓને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પેનલ અને પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન, શાળાના શિક્ષકોએ એક મુખ્ય ચિંતા વ્યક્ત કરી હતી કે આર્ટને શાળાઓમાં મુખ્ય વિષય તરીકે યોગ્ય સ્થાન મળતું નથી. શિક્ષકોએ પ્રારંભિક વયથી જ આર્ટને અભ્યાસક્રમમાં સમાવવાની માંગ કરી, જેથી વિદ્યાર્થીઓને કળાના સાચા મૂલ્યની સમજ કેળવવામાં મદદ મળે અને તેઓ ભવિષ્યમાં યોગ્ય કારકિર્દી પસંદ કરી શકે. કાર્યક્રમના સમાપન પ્રસંગે, ડિઝાઇન વિભાગના ડીન રિતેશસિંહે પોતાના જીવનના અનુભવો શેર કર્યા હતા. આ મીટમાં શિક્ષકો વચ્ચે વ્યવહારુ જ્ઞાન, અનુભવ અને વિચારોના સક્રિય આદાનપ્રદાનથી શૈક્ષણિક સમુદાયમાં સહયોગ અને પ્રગતિની ભાવના વધુ મજબૂત બની હતી.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 7:05 pm

'ધર્મેન્દ્રને પગે લાગીને જ એક્ટર્સ પર્ફોમન્સ શરૂ કરતા':રાજકોટિયન્સ 'શોલે' અને 'અપને' ફિલ્મ સાથેના અનુભવો યાદ કરી ભાવુક, જાણો રસપ્રદ કિસ્સાઓ

બોલિવૂડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે ત્યારે રાજકોટનાં જાણીતા એડવોકેટ દિલીપ પટેલ અને સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ વર્ષ 2005ના એક્ટરના વ્યક્તિત્વ અને સૌરાષ્ટ્ર સાથેના તેમના જોડાણને યાદ કર્યું હતું. વર્ષ 2005માં ‘અપને’ ફિલ્મની રાજકોટમાં શૂટિંગ દરમિયાન ધર્મેન્દ્ર, સની દેઓલ, બોબી દેઓલ, શિલ્પા શેટ્ટી અને કેટરિના કૈફ સાથે વીતાવેલી યાદગાર ક્ષણોને બંનેએ દિલ ખોલીને યાદ કરી છે. શૂટિંગની તમામ વ્યવસ્થા પોતે સંભાળી હોવાનું જણાવતાં દિલીપભાઈ અને ગુણવંતભાઈએ તેમની દરિયાદિલી, વિનમ્રતા અને સરળ સ્વભાવના અનેક કિસ્સા વાગોળ્યા. “ધર્મેન્દ્રજીની જગ્યા કોઈ લઈ શકે એમ નથી, તે ખરેખર હીમેન છે”જેમ કે, સ્ટેજ પર જો તે હાજર હોય તો કોઈપણ કલાકાર પહેલા તેમના પગ સ્પર્શીને પછી જ પોતાનું પર્ફોર્મન્સ શરૂ કરતો. મૂક-બધિર બાળકોને મળવા પોતે જ આવી ગયા, નાનીમાં નાની વસ્તુના પણ પૈસા આપવા, પંજાબી ઢોલીઓને પોતાના દીકરાઓ સાથે ફોટો પડાવવા કહેવું કે, પછી બીમાર હોવા છતાં જસ્ટિસ સેઠનાને મળવા હોટલમાં બોલાવવું – આ બધું જણાવતાં તેમણે કહ્યું કે “ધર્મેન્દ્રજીની જગ્યા કોઈ લઈ શકે એમ નથી, તેઓ ખરેખર હીમેન છે.” સૌરાષ્ટ્રના લોકો તેમને આજે પણ યાદ કરી રહ્યા છેધર્મેન્દ્રને યાદ કરતાં દિલીપ પટેલે કહ્યું કે, સ્ટેજ પર તેમની હાજરીનો એટલો પ્રભાવ હતો કે કોઈ પણ કલાકાર, ભલે તે નાનો હોય કે મોટો, પહેલા તેમના પગ સ્પર્શીને પછી જ પોતાનું પર્ફોર્મન્સ શરૂ કરતો. તેમણે ધર્મેન્દ્રને લોકપ્રિય અભિનેતા ગણાવ્યા હતા અને કહ્યું કે, તેમના નિધનથી એક મોટો અભિનેતા ગુમાવ્યો છે. તેમના નિધનથી રાજકોટ-સૌરાષ્ટ્રમાં શોકનું વાતાવરણ છે, કારણ કે 2005ની આસપાસના સમયગાળામાં જે લોકોએ ધર્મેન્દ્રને જોયા છે અને જેમનું જોડાણ તેમની સાથે રહ્યું છે, તે સૌરાષ્ટ્રના લોકો તેમને આજે પણ યાદ કરી રહ્યા છે. 'અપને’ ફિલ્મના ડાયરેક્ટર સાથે પરિચય હતોએડવોકેટ દિલીપ પટેલે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે,‘અપને’ ફિલ્મના ડાયરેક્ટર અનિલ શર્મા સાથે તેમનો પરિચય હતો. શૂટિંગ ક્યાં કરવું તેની જગ્યા જોવા માટે અનિલ શર્મા તેમને મળ્યા હતા. ફિલ્મમાં બોક્સિંગનું શૂટિંગ કરવાનું હોવાથી, કોર્પોરેશન સંચાલિત બોક્સિંગ સ્થળ પર શૂટિંગ નક્કી કરવામાં આવ્યું હતું. આ શૂટિંગ દરમિયાન ધર્મેન્દ્ર, સની દેઓલ, બોબી દેઓલ, શિલ્પા શેટ્ટી અને કેટરિના કૈફ હાજર હતા. આ ઉપરાંત, પંજાબના હાલના મુખ્યમંત્રી ભગવંત માન પણ સાઇડ કલાકાર તરીકે આવ્યા હતા અને 6-7 દિવસ રોકાયા હતા. 'જો ગુજરાતના અધ્યક્ષ આવ્યા હોય તો મારે તેમને મળવા જવુ પડે'શૂટિંગના પહેલા દિવસે, જ્યારે ક્લેપ લેવાનો હતો ત્યારે ગુજરાત ભાજપના તે સમયના અધ્યક્ષ વજુભાઈ વાળા ત્યાં હતા. દિલીપ પટેલે જ્યારે વજુભાઈ વાળાને ધર્મેન્દ્ર વિશે જણાવ્યું, ત્યારે તેમણે ધર્મેન્દ્રને મળવા જવાની ઈચ્છા વ્યક્ત કરી. દિલીપ પટેલ જ્યારે ધર્મેન્દ્રની એસી બોગીમાં તેમને પૂછવા ગયા, ત્યારે ધર્મેન્દ્રએ કહ્યું કે નહીં, હું પણ ભાજપનો સાંસદ છું. જો ગુજરાતના અધ્યક્ષ આવ્યા હોય તો મારે તેમને મળવા આવવું પડે. આ વાત પરથી તેમણે જણાવ્યું કે, ધર્મેન્દ્રનો સ્વભાવ એકદમ સરળ અને વિનમ્ર છે. ધર્મેન્દ્ર પોતે વજુભાઈ વાળાને મળવા ગયા હતા અને પછી ત્યાં જ રોકાઈને શૂટિંગના ક્લેપથી ફિલ્મને સ્ટાર્ટિંગ આપ્યું હતું. એડવોકેટે અન્ય એક કિસ્સો વાગોળતા જણાવ્યું કે, ધર્મેન્દ્રના ઘણા કિસ્સાઓમાંથી એક કિસ્સો ખાસ યાદગાર છે. એક વખત મૂક-બધિર બાળકોનો એક સમૂહ તેમના શિક્ષક સાથે ધર્મેન્દ્રને મળવા આવ્યો હતો. શિક્ષકે દિલીપ પટેલને વિનંતી કરી કે, જો ધર્મેન્દ્ર માત્ર હાથ હલાવીને આ બાળકોને શુભેચ્છા પાઠવશે તો તે બધા છોકરાઓને ખૂબ સારું લાગશે. દિલીપભાઈએ આ વાત ધર્મેન્દ્રને જણાવી ને તુરંત જ પોતાનું શૂટિંગ બંધ કરીને બાળકોને મળવા માટે સામે ગયા. આ દૃશ્ય જોઈને છોકરાઓ પણ રાજીના રેડ થઈ ગયા. ધર્મેન્દ્રએ બધા બાળકો સાથે મળીને હાથ મિલાવ્યા અને લાંબી વાતો પણ કરી. ભલે બાળકો સાંભળી ન શકતા હોય, પણ ધર્મેન્દ્રએ પોતાની ખૂબ જ સારી અને સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. આ કિસ્સો ધર્મેન્દ્રની માનવતા અને સંવેદનશીલતા દર્શાવે છે. શૂટિંગ પૂરી થતા હિસાબ કર્યો ને ગેસના બાટલાના પણ પૈસા ચૂકવ્યાવધુમાં તેઓએ જણાવ્યું કે, આ ફિલ્મ પ્રોડક્શન દરમિયાન, જેનો 100-150 લોકોનો સ્ટાફ હતો, તમામ હોટલો, જમવાની વ્યવસ્થા સહિત બધું જ દિલીપ પટેલના હસ્તક હતું. એક્ટર્સ ક્યારેય પૈસા નથી આપતા એવી સામાન્ય માન્યતાથી વિપરીત, ધર્મેન્દ્રએ નાનામાં નાની ચીજવસ્તુના પણ પૈસા આપ્યા હતા. તેમણે ઉદાહરણ આપ્યું કે, એકવાર ગેસનો બાટલો ખાલી થઈ ગયો હતો એટલે ઘરેથી નવો મંગાવ્યો હતો. કામ પૂરું થયા પછી જ્યારે બધાને હિસાબ અપાઈ રહ્યો હતો ત્યારે ધર્મેન્દ્રએ ખાસ સ્ટાફને બોલાવી પરાણે ગેસના બાટલાના પણ પૈસા આપ્યા હતા. આ ઘટના તેમની પ્રામાણિકતા દર્શાવે છે. ધર્મેન્દ્ર અને સની દેઓલ સાથેના શૂટિંગના રસપ્રદ અનુભવનું વર્ણનકરતા જણાવ્યું કે એક વખત જ્યારે શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે એક દૃશ્યમાં પંજાબી લોકો ફાઇટ કરતા હોય અને બોબી દેઓલ ઉપર આવતો હોય, તે સમયે ઢોલ વગાડીને કાર્યક્રમ કરવાનો હતો. આ માટે તેમણે લગભગ 25-30 જેટલા શીખ સરદારોને ઢોલ વગાડવા માટે બોલાવ્યા હતા. આ કાર્યક્રમ પૂરો થયા બાદ આ લોકોએ દિલીપ પટેલને વિનંતી કરી કે, તેમને સની દેઓલ અને બોબી દેઓલ સાથે ફોટો પડાવવા છે. જ્યારે દિલીપ પટેલે કલાકારોને રિક્વેસ્ટ કરી ત્યારે તેમણે ચોખ્ખી ના પાડી દીધી હતી. આથી, દિલીપ પટેલે સીધી ધર્મેન્દ્ર સાથે વાત કરી અને સમગ્ર પરિસ્થિતિ જણાવી. ધર્મેન્દ્રએ તુરંત કહ્યું, નહીં નહીં, એ તો હમારે પંજાબ કે સબ હૈ, તો ઉસકે સાથ તો ફોટો ખીંચના હી પડતા હૈ. ધર્મેન્દ્રએ તરત જ સની દેઓલ અને બોબી દેઓલ બંને સાથે વાત કરી અને તેમના કહેવાથી બધાએ જેમ-જેમ કહ્યું, એ રીતે ફોટા પડાવ્યા હતા. જસ્ટિસ સેઠના સાહેબની મુલાકાતદિલીપ પટેલે અન્ય એક પ્રસંગ પણ જણાવ્યો. તે સમયે હાઇકોર્ટના જસ્ટિસ સેઠના (જે હાલમાં રિટાયર છે) શૂટિંગ જોવા આવવાના હતા. ડી.સી. જજ સાહેબે તેમને ફોન કરીને જણાવ્યું કે, જસ્ટિસ સેઠના ખાસ આવ્યા છે. જસ્ટિસ સેઠનાએ શૂટિંગ જોયું અને ત્યાં હાજર બધા કલાકારોને મળ્યા પરંતુ, તેમણે ધર્મેન્દ્ર વિશે પૂછ્યું. જ્યારે તેમને જણાવાયું કે, ધર્મેન્દ્ર બીમાર હોવાથી આજે આવ્યા નથી ત્યારે જસ્ટિસ સાહેબે કહ્યું કે, મારે તેમને કોન્ટેક્ટ કરીને મળવાની ઈચ્છા છે. આથી દિલીપ પટેલે ધર્મેન્દ્ર સાથે વાત કરી. ધર્મેન્દ્રએ કહ્યું, કાંઈ વાંધો નહીં, જસ્ટિસ આવતા હોય તો અહીં આવો. બાદમાં ધર્મેન્દ્ર જ્યાં રોકાયા હતા, ત્યાં એટલે કે ઇમ્પિરિયલ પેલેસ ખાતે બંનેને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બંને રૂમમાં બેઠા ખૂબ સારી વાતો કરી, ચા-પાણી પીધા અને આ રીતે તેમની મુલાકાત પણ પૂરી થઈ હતી. આમ ધર્મેન્દ્ર ખૂબ જ સરળ સ્વભાવના હતા. બધા સાથે તેઓ ભળી જતા હતા અને ક્યારેય પોતે મોટા સ્ટાર છે તેવું વર્તન કરતા નહીં. સામાન્ય માણસની માફક રહેતા હતા. આજના સમયમાં આવા કલાકાર હોવા લગભગ અશક્ય બાબત છે. ઇમ્પિરિયલ હોટલ ખાતે પત્રકાર પરિષદ ગોઠવવામાં આવી હતીતેઓનું આગમન થયા બાદ પત્રકારોએ પોતાની સાથેની મુલાકાત ગોઠવવાનું જણાવ્યું હતું. જેને પગલે મેં તરત ધર્મેન્દ્ર સાથે વાત કરી હતી અને તેમણે સહર્ષ આ વાત સ્વીકારી લીધી હતી. ત્યારબાદ ઇમ્પિરિયલ હોટલ ખાતે પત્રકાર પરિષદ ગોઠવવામાં આવી હતી. જેમાં ધર્મેન્દ્ર ઉપરાંત સની અને બોબી દેઓલ પણ હાજર રહ્યા હતા. અને ધર્મેન્દ્રએ પત્રકાર પરિષદ બાદ પણ બધા પત્રકારો સાથે ખૂબ સારી રીતે વાત કરી હતી. અને ફોટાઓ પણ પડાવ્યા હતા. ભાજપના સાંસદ હોવાથી પાર્ટીના લોકોને મળીને આનંદ વ્યક્ત કર્યો હતોએ સમયે મેયર તરીકે ધનસુખ ભંડેરી હતા. અંતમાં બધું શૂટિંગ પૂર્ણ થયા બાદ તેમણે ધર્મેન્દ્રને મેયરનાં બંગલે આવી બધા કોર્પોરેટરોને મળવા કહ્યું હતું. જેને લઈને આ વાત તેમણે ધર્મેન્દ્રને જણાવી હતી. ત્યારે પણ ધર્મેન્દ્રએ તરત જ આ વાત સ્વીકારી લીધી હતી અને પોતાના વ્યસ્ત શિડયુલમાંથી સમય કાઢીને તેઓ ખાસ મેયર બંગલે આવ્યા હતા. ફક્ત એટલું જ નહીં ચા-પાણી પીધા હતા અને બધા સાથે દિલ ખોલીને ચર્ચાઓ કરી હતી. એટલું જ નહીં પોતે ભાજપના સાંસદ હોવાથી પાર્ટીના લોકોને મળીને આનંદ વ્યક્ત કર્યો હતો. ધર્મેન્દ્ર શોલેની સિલ્વર જ્યુબિલી માટે રાજકોટની ગેલેક્સી ટોકીઝમાં આવ્યા હતાદિલીપભાઈની જેમ જ રાજકોટની જાણીતી સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ બોલિવૂડના દિગ્ગજ કલાકાર ધર્મેન્દ્રના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારતે એક સારો કલાકાર ગુમાવ્યો છે. ધર્મેન્દ્ર 89 વર્ષની ઉંમર સુધી સક્રિય રહ્યા હતા અને તેઓ નિયમિત પણે શૂટિંગ તેમજ વિવિધ ટીવી શોમાં પણ હાજર રહેતા હતા. તેના નિધનથી ચાહકોને સ્વાભાવિક રીતે દુઃખની લાગણી થઈ છે. ગુણવંતભાઈએ ધર્મેન્દ્ર સાથેની રાજકોટની એક જૂની મુલાકાતને યાદ કરી હતી. તેમણે કહ્યું કે, ધર્મેન્દ્ર શોલેની સિલ્વર જ્યુબિલી માટે અંદાજે 1975માં રાજકોટની ગેલેક્સી ટોકીઝમાં આવ્યા હતા. તે સમયે તેની ધર્મેન્દ્ર સાથે મુલાકાત થઈ હતી, પરંતુ એટલી બધી ગિરદી હતી કે તેમની પાસે જવાનો કે વાત કરવાનો કોઈ મોકો મળ્યો નહોતો. જોકે, તેમણે જણાવ્યું હતું કે તેઓ પહેલેથી જ ધર્મેન્દ્રને ખૂબ પસંદ કરતા હતા અને તેમના પિક્ચરોના શોખીન હતા. રાજકોટના રેસકોર્સ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમમાં 'અપને' ફિલ્મનું શૂટિંગરાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત અને સરગમ ક્લબ સંચાલિત વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ, જે રેસકોર્સ વિસ્તારમાં આવેલું છે, ત્યાં બોલિવૂડ ફિલ્મ 'અપને'નું શૂટિંગ યોજાયું હતું. સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ આ શૂટિંગ અંગે વિગતો આપી હતી તેમજ આ શૂટિંગ દરમિયાન જોવા મળેલી ધર્મેન્દ્રની સરળતાનાં ભરપેટ વખાણ કર્યા હતા. ફક્ત એટલું જ નહીં આ ફિલ્મમાં પોતાના પણ ચાર-પાંચ સીન હોવાનું કહ્યું હતું. સ્ટેડિયમની અદ્યતન બેઠક વ્યવસ્થા વચ્ચે મુખ્ય શૂટિંગ અને ફાઇટિંગના દૃશ્યો ફિલ્માવવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં મુખ્ય કલાકારો તરીકે ધર્મેન્દ્ર, બોબી દેઓલ અને શિલ્પા શેટ્ટી હતા. આ ઉપરાંત મહેમાન કલાકારો તરીકે સની દેઓલ અને કેટરિના કૈફ પણ રાજકોટ આવ્યા હતા. આ તમામ કલાકારોનો રાજકોટમાં આશરે 8 દિવસનો મુકામ રહ્યો હતો. શૂટિંગ દરરોજ સવારે 2-3 કલાકના ભાગમાં અને સાંજે 3-4 કલાકના ભાગમાં કરવામાં આવતું હતું. શૂટિંગ દરમિયાન કલાકારો દ્વારા નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. ઓડિયન્સ તરીકે આવતા દર્શકો માટે નિયમ હતો કે, જે ઓડિયન્સ આવે તે જ ઓડિયન્સ ત્યાં રહે અને તેમનાં કપડાં પણ એ જ પહેરવાના રહેતા હતા. 4-5 દિવસના શૂટિંગમાં માત્ર 20-25 જેટલા જ સીન ફિલ્માવવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રએ હાજર રહેલા સૌ કોઈ સાથે હળતા-મળતા અને ખૂબ રમૂજી સ્વભાવના રહ્યા હતા. જોકે, લાંબો સમય થયો હોવાથી તેમની સાથેનાં ખાસ કોઈ કિસ્સા યાદ નહીં હોવાનું તેમણે કહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 7:04 pm

બ્રહ્માકુમારીઝની હીરક જયંતિ: અમદાવાદમાં શાંતિયાત્રા:શહેરના 60થી વધુ વિસ્તારોમાં શાંતિદૂતો જોડાયા

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સંસ્થાએ ગુજરાત રાજ્યમાં તેની સેવાના 60 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે, સમગ્ર ગુજરાતમાં 500થી વધુ શહેરો અને નગરોમાં એક સાથે શાંતિ મૌન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય શાંતિનો સંદેશ ફેલાવવાનો હતો. અમદાવાદ મહાનગરમાં પણ 60થી વધુ વિવિધ વિસ્તારોમાં આ શાંતિયાત્રા નીકળી હતી. રાજયોગી બ્રહ્માકુમાર ભાઈ-બહેનો 'શાંતિદૂત' બનીને આ યાત્રામાં જોડાયા હતા અને શાંતિનો સંદેશ આપ્યો હતો. બ્રહ્માકુમારીઝના ગુજરાતના મુખ્યાલય ખાતે બ્ર.કુ. નેહાબેનની પ્રેરણાથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 150થી વધુ ભાઈ-બહેનો 'શાંતિદૂત ફરિશ્તા' તરીકે જોડાઈને સેવા આપી હતી. શાંતિયાત્રાના રૂટ પરના રહેણાંક વિસ્તારોમાં લોકો પોતાના ઘરોમાંથી બહાર આવીને શાંતિદૂતોને કુતૂહલતાપૂર્વક નિહાળી રહ્યા હતા. રાજમાર્ગો પરના ચાર રસ્તાઓ પર, શાંતિના વિશેષ ગીતોના ગુંજન સાથે શાંતિદૂતો ધ્યાનની સ્થિતિમાં સ્થિર થઈને શાંતિના પ્રકંપનો ફેલાવી રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 7:04 pm

કાંકરિયા સ્કૂલની બે વિદ્યાર્થિનીઓ ડ્રૉઈંગ સ્પર્ધામાં પ્રથમ:QDC લેવલ કલા ઉત્સવમાં દીવાન-બલ્લુભાઈ સ્કૂલની વિદ્યાર્થિનીઓ વિજેતા

અમદાવાદ: કલા ઉત્સવ અંતર્ગત યોજાયેલી QDC લેવલની ડ્રૉઈંગ સ્પર્ધામાં કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી ઈંગ્લિશ સ્કૂલની બે વિદ્યાર્થિનીઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સ્પર્ધા ખાડિયાની આર.બી.આર.સી. ગર્લ્સ સ્કૂલ ખાતે યોજાઈ હતી. જેમાં ધોરણ ૧૦ની વિદ્યાર્થિની કુ. મહેક ભરતભાઈ દવે અને ધોરણ ૧૨ની વિદ્યાર્થિની કુ. જીયા નીરવ આદેશરાએ 'વિક્સિત ગુજરાત@૨૦૪૭' થીમ પર આધારિત ચિત્ર બનાવી પ્રથમ ક્રમ મેળવ્યો હતો. આ બંને વિજેતા વિદ્યાર્થિનીઓ હવે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. તેમની આ સિદ્ધિ બદલ ધ પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ ટ્રસ્ટના ચેરમેન ડૉ. હેમાંગ દેસાઈ, મેનેજિંગ ટ્રસ્ટી અમિતાભ ઠાકોર સહિતના સમગ્ર ટ્રસ્ટી મંડળ અને પ્રિન્સિપાલ ડૉ. અલકા સપ્રેએ અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 7:02 pm

સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં ફાઇનાન્શિયલ લિટરેસી ટ્રેનિંગ પ્રોગ્રામ પૂર્ણ:NISM MoU હેઠળ બે દિવસીય વર્કશોપનું સફળ આયોજન

સ્વામિનારાયણ યુનિવર્સિટી અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ સિક્યુરિટીઝ માર્કેટ્સ (NISM) વચ્ચે થયેલા સમજૂતી કરાર (MoU) અંતર્ગત ફેકલ્ટી ઑફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ દ્વારા બે દિવસીય ફાઇનાન્શિયલ લિટરેસી ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને નાણાકીય સાક્ષરતા અને રોકાણ અંગે જાગૃત કરવાનો હતો. આ તાલીમ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ રોકાણ અને વ્યક્તિગત નાણાકીય આયોજનનું મહત્વ સમજ્યું. તેમને વિવિધ નાણાકીય સાધનો અને બજારો, તેમજ સિક્યુરિટીઝમાં રોકાણ કરતી વખતે જરૂરી પ્રક્રિયાઓ અને સાવચેતીઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. વર્કશોપમાં મ્યુચ્યુઅલ ફંડ, રોકાણના વિવિધ વિકલ્પો, ફાઇનાન્શિયલ સર્વિસિસ ક્ષેત્રમાં કારકિર્દીની તકો અને ફાઇનાન્સ સેક્ટરમાં નોકરી માટે ઇન્ટરવ્યુની તૈયારી જેવા વ્યવહારુ મુદ્દાઓ પણ આવરી લેવાયા હતા. અરુણ ચૌબે દ્વારા આ કાર્યક્રમનું સંચાલન ઇન્ટરેક્ટિવ અને પ્રાયોગિક શૈલીમાં કરવામાં આવ્યું, જેનાથી વિદ્યાર્થીઓની સમજ અને રસમાં નોંધપાત્ર વધારો થયો. આ સમગ્ર આયોજન ડીન ડૉ. આશિષ રામીના માર્ગદર્શન હેઠળ થયું હતું. યુનિવર્સિટીએ NISMના સહયોગ, અરુણ ચૌબેની નિષ્ણાત સેવાઓ અને કાર્યક્રમ સંયોજકો ડૉ. યુવરાજસિંહ રાઠોડ તથા ડૉ. રાકેશકુમાર ચૌહાનના યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 7:00 pm

બ્રહ્માકુમારીઝ દ્વારા શાંતિ પદયાત્રાનું આયોજન:સેંકડો રાજયોગીઓએ મૌન રહી 0.5 કિમી અંતર કાપ્યું

પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોન તેની ઈશ્વરીય સેવાના 60 વર્ષ પૂર્ણ થવા પર વર્ષ ૨૦૨૫ને હીરક જયંતિ તરીકે ઉજવી રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 500થી વધુ સેવાકેન્દ્રો દ્વારા શાંતિમય સંસારના નિર્માણના લક્ષ્ય સાથે શાંતિ પદયાત્રાનું વિશેષ આયોજન કરાયું હતું. મહેસાણામાં પણ ૨૩ નવેમ્બરના રોજ આ યાત્રા યોજાઈ હતી. મહેસાણામાં 23 નવેમ્બરના રોજ સવારે 7:00થી 8:30 દરમિયાન આ શાંતિ પદયાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રામાં બ્રહ્માકુમારીઝના શ્વેત વસ્ત્રધારી સેંકડો રાજયોગી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. તેઓએ શાંતિદૂતનો પટ્ટો ધારણ કર્યો હતો અને હાથમાં પરમાત્મા શિવનો ધ્વજ લહેરાવ્યો હતો. આ યાત્રા અડધો કિલોમીટર લાંબી હતી. સહભાગીઓએ મૌન પાળી શાંતિનો સંદેશ ફેલાવ્યો હતો. રાજયોગિની સરલા દીદી સહિત સંસ્થાના વરિષ્ઠ ભાઈ-બહેનોએ પણ સંપૂર્ણ યાત્રા પગપાળા કરી શહેરમાં શાંતિનો સંદેશ પહોંચાડ્યો હતો. આ યાત્રાનો પ્રારંભ બ્રહ્માકુમારીઝના જેલ રોડ સ્થિત પીસ પેલેસથી થયો હતો. રાજયોગિની બ્રહ્માકુમારી સરલા દીદી અને રોટરી ક્લબના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ ચોક્સીએ લીલી ઝંડી બતાવી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રાના પ્રારંભે સરલા દીદીએ દરેક યાત્રીના મસ્તક પર તિલક કરી હું શાંત સ્વરૂપ આત્મા આ શરીરમાં ભૃકુટીની મધ્યમાં બિરાજમાન છું અને વિશ્વમાં શાંતિના પ્રકંપનો ફેલાવી રહી છું તેવો સંદેશ આપ્યો હતો. આ યાત્રા પીસ પેલેસથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો જેવા કે રાધનપુર ચોકડી, અમદાવાદ હાઈવે, મોઢેરા ચોકડી, ભમરીયા નાળા, કૃષ્ણનો ઢાળ, તોરણવાળી માતાનો ચોક, ગોપીનાળા, જેલરોડ થઈને ફરી પીસ પેલેસ ખાતે પરત ફરી હતી. યાત્રાના અંતે દરેક યાત્રીને પરમાત્મ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, બ્રહ્માકુમારીઝના મોઢેરા રોડ સેવાકેન્દ્ર દ્વારા પણ શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા ટહુકો પાર્ટી પ્લોટ સામે આવેલા નીલકંઠ મહાદેવથી શરૂ થઈ મોઢેરા રોડ, મોઢેરા ચોકડી, વી.આઈ.પી. નગર થઈને બ્રહ્માકુમારીઝના કેશવનગર સ્થિત સેવાકેન્દ્ર પર સમાપ્ત થઈ હતી. મહેસાણાના જાણીતા ડોક્ટર જતીન પટેલ, મહેસાણા નગરપાલિકાના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન કૈલાશબેન મફતલાલ પટેલ અને મોઢેરા રોડ સેવાકેન્દ્રના સંચાલિકા રાજયોગિની બ્રહ્માકુમારી જ્યોતિબેને લીલી ઝંડી બતાવી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 6:58 pm

પાન પાર્લરની આડમાં હથિયારોના વેપલાનો પર્દાફાશ:ચિલોડા હાઇવે પર રામપુરી ચાકુ અને લોખંડના પંચોના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

હથિયારબંધી જાહેરનામાનો કડક અમલ કરવાના ભાગરૂપે ચિલોડા પોલીસે હાથ ધરેલા પેટ્રોલિંગ દરમિયાન હિંમતનગર તરફ જતા નેશનલ હાઈવે શિહોલી ગામની સીમમાં આવેલી ક્રિષ્ણા હોટલની બહારના ક્રિષ્ણા એન્ડ પાન પાર્લરની આડમાં જાહેરમાં ગેરકાયદેસર હથિયારોના વેચાણનો પર્દાફાશ કરી એક ઇસમને 10 હજારથી વધુની કિંમતના રામપુરી ચાકુ અને લોખંડના પંચોના જથ્થા સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાન પાર્લરની આડમાં હથિયારોનું વેચાણ ગાંધીનગર ચિલોડા પોલીસ મથકના પીઆઇ એસ.જે.ચૌહાણની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે,શિહોલી ગામની સીમમાં આવેલી ક્રિષ્ણા હોટલની બહારના ક્રિષ્ણા એન્ડ પાન પાર્લરની આડમાં જાહેરમાં ગેરકાયદેસર હથિયારોનું વેચાણ થઈ રહ્યું છે. 31 નંગ રામપુરી હાથાવાળા ચાકુ સહિતના હથિયાર જપ્તજે હકીકતના આધારે પોલીસે બાતમી વાળા પાર્લરમાં દરોડો પાડતા 31 નંગ રામપુરી હાથાવાળા ચાકુ, 20 નંગ પ્લાસ્ટિકના હાથાવાળી કટાર અને 44 નંગ લોખંડના હાથમાં પહેરવાના પંચ (નકલ ડસ્ટર)નું જાહેરમાં વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું જોવા મળ્યું હતું. 10 હજારથી વધુની કિંમતના હથિયારો સાથે શખ્સની ધરપકડ જેના પગલે પોલીસે પાર્લરના કાઉન્ટર પર વેચાણ કરી રહેલા સાહિલમહમદ શૌકતખાન પરમાર (ઉં.વ. 35, મૂળ રહે. કુંભાસણ, પાલનપુર) ની પૂછપરછ હાથ ધરતા તેની પાસે હથિયાર વેચાણ સંબંધિત જાહેરનામાનો કોઈ પરવાનો ન હોવાનું માલૂમ પડ્યું હતું. આ અંગે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી સાહિલમહમદની 10 હજારથી વધુની કિંમતના હથિયારો સાથે ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 6:51 pm

જય અંબે વિદ્યાલયમાં 22મું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન સંપન્ન:વિદ્યાર્થીઓએ 60 કૃતિઓ રજૂ કરી, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાયો

વડોદરાના હરણી સ્થિત જય અંબે વિદ્યાલય ખાતે 21 નવેમ્બર,2025ના રોજ ‘૨૨મા ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું હતું. GCERT-ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, વડોદરાના માર્ગદર્શન હેઠળ અને બી.જી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સર સયાજીરાવ ગાયકવાડ શાળા વિકાસ સંકુલ દ્વારા આ પ્રદર્શન યોજાયું હતું.કાર્યક્રમનો શુભારંભ મંગલ પ્રાર્થના અને વિદ્યાર્થીઓના મધુર સ્વાગત ગીતથી થયો હતો. આ પ્રસંગે વીર નર્મદ યુનિવર્સિટીના પૂર્વ વી.સી. ડો. રમેશભાઈ કોઠારી, સાયન્સ કોમ્યુનિટી સેન્ટરના કોર્ડિનેટર શ્રી દિનેશભાઈ ગાંધી, ડાયટના વિજ્ઞાન સંયોજક દિવ્યપ્રભા બહેન અને જય અંબે વિદ્યાલયના નિયામક શ્રી વિવેક શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દિનેશભાઈ ગાંધીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, વિજ્ઞાન પુસ્તકો પૂરતું સીમિત નથી, તે રોજિંદા જીવનના પ્રશ્નો ઉકેલવાનું માધ્યમ છે. તેમણે વિદ્યાર્થીઓને સમસ્યાઓના તાર્કિક ઉકેલ શોધવા હાકલ કરી હતી. ત્યારબાદ, મુખ્ય અતિથિ ડો. રમેશભાઈ કોઠારીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, ગણિત અને વિજ્ઞાન એકબીજાના પૂરક છે. વિદ્યાર્થીઓએ માત્ર મોડેલ બનાવવાના બદલે તેની પાછળના સિદ્ધાંતો અને સામાજિક ઉપયોગિતા સમજવી જોઈએ.આ પ્રદર્શનમાં શાળા વિકાસ સંકુલની વિવિધ શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કુલ 60 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કૃતિઓ મુખ્યત્વે પાંચ વિભાગોમાં વહેંચાયેલી હતી: ટકાઉ ખેતી, કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો, ગ્રીન એનર્જી, નવીન ટેકનોલોજી અને ગાણિતિક મોડેલિંગ, તેમજ આરોગ્ય, સ્વચ્છતા અને જળ વ્યવસ્થાપન.વિદ્યાર્થીઓએ સોલર એનર્જી, ઓર્ગેનિક ખેતી, રોબોટિક્સ અને વેસ્ટ મેનેજમેન્ટ જેવા વિષયો પર પોતાની સર્જનાત્મકતા દર્શાવી હતી. આ પ્રદર્શન માત્ર શૈક્ષણિક જ નહીં પણ સામાજિક જાગૃતિ ફેલાવનારું બની રહ્યું હતું. અંતે, આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવામાં અને તેમને નવું વિચારવા માટે એક શ્રેષ્ઠ મંચ પૂરું પાડવામાં સંપૂર્ણ સફળ રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 6:49 pm

રી-કન્સ્ટ્રક્શન:જમનાકુંડ વિસ્તારમાંથી ઝડપાયેલ કસાઈઓને દોરડાં વડે બાંધી રી-કન્સ્ટ્રક્શન કરાયું, પોલીસે બંને આરોપીઓને સ્થળ પર લાવતા લોકોનાં ટોળેટોળાં એકઠા થયા

ભાવનગર શહેરના જમના કુંડ વિસ્તારમાં અલગ અલગ બે જગ્યાએથી તાજેતરમાં ગેરકાયદે ચાલતું કતલખાનું ઝડપાયું હતું, આ કતલખાનામાંથી પોલીસે બે શખ્સોઓની ધરપકડ કરી હતી અને અબોલ જીવોને મુક્ત કરાવ્યા હતા. ધરપકડ કરાયેલ બંને શખ્સોઓને આજે ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રી- કન્સ્ટ્રક્શન કર્યું હતું, તાજેતરમાં ભાવનગર શહેરના જમનાકુંડ વિસ્તારમાં અલગ અલગ બે સ્થળોએ એલસીબી ની ટીમે રેડ કરી ગેરકાયદે અબોલ જીવોની કતલ થતી હોય, આ સ્થળે રેડ કરી ગૌવંશ સહિત 8 મુંગા પશુઓનો જીવ બચાવ્યો હતો અને સ્થળ પરથી મોટી માત્રામાં ગૌમાંસ નો જથ્થો કબ્જે કર્યો હતો અને 6 શખ્સો વિરુદ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં પશુ અતિક્રમણ સહિતની એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, 6 પૈકી હુસૈન અબ્દુલ બાવનકા ઉં.વ.40 રહે.મટન માર્કેટ જમના કુંડ, તથા મોહસીન હનિફ શેખ ઉં.વ.33 ની ધરપકડ કરી હતી, આ બંને આરોપીઓને આજે પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જમના કુંડ લાવી હતી અને સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું, બનાવ સમયે સ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળાં એકઠા થયા હતા, આ અંગે પોલીસ અધિકારી નો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે બાકીના ચાર આરોપીઓને પણ ઝડપથી ઝડપી લેવામાં આવશે અને હાલ સમગ્ર બનાવની તપાસ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 6:48 pm

ગુજરાત વિદ્યાપીઠમાં લોથલમાંથી મળેલા અવશેષોનું પ્રદર્શન:હેરિટેજ વિક અંતર્ગત પુરાતત્વ અવશેષોથી વાફેક થવા સ્ટોન બીટ, ડ્રીલ બીટ જેવી 100 કરતા વધુ વસ્તુઓ

ગુજરાત વિદ્યાપીઠમાં વર્લ્ડ હેરિટેજ વિક ચાલી રહ્યો છે. જે અંતર્ગત ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સાથે મળીને એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરીમાં લોથલમાંથી મળી આવેલા પુરાતત્વ અવશેષો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતાં. હડપ્પા યુગની બંદર- નગરી લોથલમાંથી મળેલા અવશેષો પ્રદર્શનમાં રાખવામાં આવ્યા હતાં. વિદ્યાર્થીઓ દુર્લભ અવશેષો નજીકથી જોઈ શકે અને રિસર્ચને સમજી શકે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લોથલમાંથી મળેલા અવશેષોનું પ્રદર્શનજેમાં આર્કિયોલોજિસ્ટ વિભાગના લોકો વિદ્યાર્થીઓને અવશેષોના મૂલ્યોથી વાકેફ કરાવ્યા હતાં. તેમજ સંશોધન દરમિયાન જે પણ ફોટોગ્રાફ લેવામાં આવ્યા છે તે પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. લોથલ ખાતેથી મળેલ જૂની પરંપરાના ઘરેણાઓ પથ્થરો તેમજ વાસણોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. હડપ્પન કાલીનની વસ્તુઓ જોવા મળશેઆર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા વડોદરાના આર્કિયોલોજિસ્ટ શુભા મજુમદારે જણાવ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠ સાથે જોડાઈને વર્લ્ડ હેરિટેજ વિક શરૂ કરવામાં આવ્યું હતું. લોથલમાં જે પણ પુરાતત્વ અવશેષો મળી આવ્યા છે તેનાથી વિદ્યાર્થીઓ પણ વાકેફ થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેથી હડપ્પન કાલીનનો જે સામાન મળી આવ્યો છે તે જે અવશેષો મળી આવ્યા છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે. સ્ટોન બીટ, ડ્રીલ બીટ જેવી 100 કરતા વધુ વસ્તુઓ મુકાયાતેને વધુમાં કહ્યું હતું કે, સ્ટોન બીટ, ડ્રીલ બીટ જેવી 100 કરતા વધુ વસ્તુઓ મૂકવામાં આવી છે. તેમજ જે પણ ફોટોગ્રાફી કરવામાં આવી છે તેનું પણ એક્ઝિબિશન બનાવવામાં આવ્યું છે. તેમજ અત્યારે જે પણ ફોટોગ્રાફ લેવામાં આવ્યા છે જેમાં ડ્રોન ફોટો પણ મૂકવામાં આવ્યા છે. જેનાથી પણ વિદ્યાર્થીઓ વાકેફ થાય તેથી અહીંયા રાખવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 6:46 pm

હિંમતનગરમાં સૈનિકોનું સન્માન:વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય પરીક્ષણ કાર્યક્રમ યોજાયો, '120 બહાદુર' ફિલ્મનું પ્રદર્શન

સાબરકાંઠા જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની પહેલથી હિંમતનગર ખાતે ફરજ પરના અને નિવૃત્ત સૈનિકો તથા તેમના પરિવારજનો માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સ્ટાર સિટી સિનેમાના સહયોગથી '120 બહાદુર' ફિલ્મનું પ્રદર્શન અને આરોગ્ય પરીક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના હસ્તે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકના માતા-પિતા અને લેહ-લદ્દાખમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ધરમપાલસિંહ ઝાલાને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન રાષ્ટ્રના વીર સૈનિકો પ્રત્યે સંવેદના અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ઉમદા હેતુથી કરાયું હતું. જિલ્લા પંચાયત, હિંમતનગરની નિષ્ણાત આરોગ્ય ટીમ દ્વારા સૈનિકો અને તેમના પરિવારજનો માટે આરોગ્ય પરીક્ષણની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. આ કાર્યક્રમ સૈનિકોની શારીરિક સુખાકારી પર પણ ધ્યાન કેન્દ્રિત કરીને સન્માન અને સુરક્ષાનું એક સંકલિત પ્લેટફોર્મ પૂરું પાડે છે. જિલ્લા કલેક્ટરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાષ્ટ્રરક્ષક સૈનિકો સમાજના ગૌરવ અને પ્રેરણાસ્ત્રોત છે. તેમની શૌર્યગાથા અને ત્યાગને યાદ કરવો એ માત્ર ફરજ નથી, પરંતુ દરેક નાગરિકનું એક ઋણ છે. તેમણે ઉમેર્યું કે આ વિશિષ્ટ કાર્યક્રમથી વહીવટીતંત્ર અને સૈનિકો તેમજ તેમના પરિવારજનો વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનશે. આ કાર્યક્રમ દ્વારા વહીવટી તંત્રએ સૈનિકોના મનોબળને બિરદાવવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલ, સામાજિક અગ્રણી ગોપાલસિંહ રાઠોડ, જિલ્લા સૈનિક કલ્યાણ અને સમસ્યા નિવારણ સમિતિના સભ્યો સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 6:43 pm

ડોગ બાઈટથી લોહીલુહાણ 4 વર્ષના બાળકનો હચમચાવતો વીડિયો:સુરતમાં કૂતરાઓએ 24 કલાકમાં 20 બાળક સહિત 100ને બચકાં ભર્યા

સુરત શહેરમાં રખડતાં કૂતરાનો આંતક સતત વધી રહ્યો છે, જેના કારણે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિની ગંભીરતા એ હદે પહોંચી છે કે, સુરત સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઈટના કેસમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. માત્ર આજે 24 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યા સુધીમાં 20 બાળકો સહિત 40 કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં શહેરભરમાં 100 જેટલા લોકો રખડતાં શ્વાનના આતંકનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સચિન વિસ્તારમાં એક ચાર વર્ષના બાળક પર ચારથી વધુ કૂતરાઓએ હુમલો કર્યો હતો. જેના પગલે બાળક પર 50થી વધુ ઈજા થઈ હતી અને લોહીલુહાણ થઈ ગયો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. 24 કલાકમાં 100 ડોગ બાઈટના કેસ સિવિલમાં નોંધાયા: ચિરાગ ગામીતઆ 100 કેસમાં મોટાભાગના ભોગ બનનાર નાના બાળકો છે, જે અત્યંત ગંભીર બાબત છે. સિવિલ હોસ્પિટલમાં કામ કરતાં સ્ટાફ નર્સ ચિરાગ ગામીતે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં 100 જેટલા ડોગ બાઈટના કેસ સિવિલ હોસ્પિટલમાં નોંધાય છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. કેસોની સંખ્યા વધવાથી હોસ્પિટલના સ્ટાફ પર પણ ભારણ વધ્યું છે. ડોગ બાઈટથી લોહીલુહાણ 4 વર્ષના બાળકનો વીડિયો સામે આવ્યોગઇકાલે જ સુરતના સચિન વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની હતી, જ્યાં ચાર વર્ષના બાળક પર શ્વાનના એક ઝૂંડે હુમલો કર્યો હતો. ચાર વર્ષના બાળક શિવરાજ પર શ્વાનનું ટોળું તૂટી પડ્યું હતું જેના પગલે તેના શરીર પર 50થી વધુ ઈજાના નિશાન જોવા મળ્યા હતા. આ લોહીલુહાણ શિવરાજનો વીડિયો પણ સામે આવ્યો છે. રખડતાં શ્વાન સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માગઆ ઘટનાએ શહેરીજનોમાં વધુ રોષ અને ચિંતા ફેલાવી છે. શહેરીજનો દ્વારા હવે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. રખડતાં શ્વાનને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવે. શ્વાનની વસ્તી નિયંત્રણ માટે સઘન અભિયાન ચલાવવામાં આવે. જો તંત્ર દ્વારા આ મામલે સત્વરે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો રખડતાં શ્વાનનો આંતક વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે અને બાળકોની સુરક્ષા જોખમાઈ શકે છે. 'હું બચવા માટે તેને પકડવા જતાં તેણે મારો હાથ ફાડી નાખ્યો'કૂતરાના આતંકનો ભોગ બનેલા જયેશ કંદેલર રાઠોડે જણાવ્યું હતું કે, હું બચવા માટે તેને પકડવા જતાં તેણે મારો હાથ પકડી લીધો હતો અને ફાડી નાખ્યો હતો. આવું તો અહીં પહેલીવાર બન્યું છે પણ મારા હાથમાં ખૂબ જ ઈજા થઈ છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 6:41 pm

મુખ્યમંત્રી આવે ત્યારે જ જામનગરમાં સફાઈ થાય?: VIDEO:ભૂપેન્દ્ર પટેલની હસતા મોઢે જનતાને ટકોર-'સફાઈકર્મીને પણ સહકાર આપો, કચરાના ઢગલા કરવાના બંધ કરો'

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 226 કરોડના ખર્ચે બનેલા સૌરાષ્ટ્રના સૌથી લાંબા 3.5 કિલોમીટરના ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું હતું. રાજકોટ‎ તરફથી આવતા તેમજ ‎ખંભાળિયા તરફથી આવતા‎ વાહનચાલકો બ્રિજનો ઉપયોગ‎ કરી શકશે. લોકાર્પણ બાદ ભૂપેન્દ્ર પટેલે પોતાની સ્પીચ દરમિયાન જામનગરની સ્વચ્છતાની પ્રશંસા કરી હતી. સાથે જ હસતા મોઢે જામનગરની જનતાને ટકોર કરતાં કહ્યું હતું કે, શહેરને સ્વચ્છ રાખતા સફાઈકર્મીઓને આપણે સહકાર આપવો જોઈએ, રસ્તા પર કચરાના ઢગલા કરવાના બંધ કરવા જોઈએ... શું અમે આવીએ ત્યારે જ જામનગરમાં સફાઈ થાય?: CMભૂપેન્દ્ર પટેલે પોતાની સ્પીચમાં કહ્યું કે, આજે જામનગરની સ્વચ્છતા જોઈ ખૂબ આનંદ થાય છે. પણ તમે બધા હસો છો કે, અમે લોકો આવીએ ત્યારે જ સફાઈ થાય છે, એવું તો નથી ને? અમારી પાસે એવા સમાચાર છે કે, અમે આવીએ કે ના આવીએ પણ તમારી જામનગર સ્વચ્છ રહે છે. પણ શહેર આવું ને આવું જ સ્વચ્છ રહે તેના માટે તમારો (જામનગરની જનતા) સહકાર ખૂબ જ જરૂરી છે. સફાઈકર્મીને આપણે જ સહકાર આપવો પડે: CMઅમે ઘણીવાર જોતા હોઈએ છીએ કે, સફાઈકર્મી સફાઈ કરીને થોડો આગળ નીકળે ને તમને બીજા કોમ્પ્લેક્સમાં કોઈ કચરાનો ઢગલો કરતો જોવા મળે. સફાઈકર્મી જે કામ કરી રહ્યા છે આપણે તેમને સહકાર આપવો જોઈએ. સફાઈકર્મી ખૂબ જ સારૂ કામ કરે છે, પણ આપણે તેમને સહકાર આપવાની જગ્યાએ એ નીકળી જાય એટલે ફરી કચરાના ઢગલા કરવા લાગીએ છીએ. 622‎ કરોડનાં વિકાસકાર્યોની જામનગરને ભેટમુખ્યમંત્રીએ શહેરના ધન્વંતરિ‎ ઓડિટોરિયમ ખાતેથી‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎ જામનગરવાસીઓને રૂ. 622‎ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા ‎69 જેટલા વિકાસ પ્રકલ્પોની ભેટ ‎આપી છે. આ કાર્યક્રમમાં રૂ.‎487.62 કરોડના ખર્ચે પૂર્ણ ‎થયેલાં વિવિધ કામોનું લોકાર્પણ‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎ કર્યું છે, જેમાં સૌથી મહત્ત્વનું‎ લોકાર્પણ જામનગર મહાનગર‎પાલિકા હેઠળના રૂ. 226 કરોડથી ‎વધુના ખર્ચે નિર્મિત થયેલા છે.‎ અહીં જુઓ, સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવરનો નજારો અને વિશેષતા...

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 6:39 pm

ગાંધીનગર GMERS મેડિકલ કોલેજમાં રેગિંગનો મામલો:ત્રીજા વર્ષના 7 અને બીજા વર્ષના અન્ય વિદ્યાર્થીઓ સસ્પેન્ડ: મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કહ્યું , ફરિયાદ મળશે તો તાત્કાલિક સસ્પેન્શન

ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજના બોયઝ હોસ્ટેલમાં થયેલી રેગિંગની ગંભીર ઘટનાને લઈને રાજ્ય સરકારે ત્વરિત કાર્યવાહી કરી છે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને હેરાન કરતી ત્રીજા વર્ષના 7 વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે જ્યારે બીજા વર્ષના અન્ય વિદ્યાર્થીઓને 6 મહિના માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. હોસ્ટેલ ડીનને રેગિંગની ફરિયાદ મળતા કાર્યવાહીઘટના અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, હોસ્ટેલ ડીનને રેગિંગની ફરિયાદ મળતાની સાથે જ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. ફૂટેજમાં ત્રીજા વર્ષ અને બીજા વર્ષના વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને માનસિક રીતે હેરાન કરી અસામાજિક વર્તન કર્યું હોવાનું સામે આવતા તમામ સામે કડક કાર્યવાહી કરાઈ છે. 'માનવતા તમારું પ્રથમ ગુણ હોવું જોઈએ'મંત્રી પાનશેરીયાએ કાર્યવાહી અંગે જણાવ્યું કે, વિદ્યાર્થી પોતાના માતા-પિતાના સપના સાકાર કરવા માટે અહીં અભ્યાસ કરવા આવે છે. તેમને હેરાનગતિ કરવી અથવા માનસિક ત્રાસ આપવો અયોગ્ય છે. તમે ડોક્ટર બનવા જઈ રહ્યા છો - માનવતા તમારું પ્રથમ ગુણ હોવું જોઈએ. 'ફરિયાદ મળશે તો તાત્કાલિક સસ્પેન્શન 'તેમણે સ્પષ્ટ ચેતવણી આપી કે આગામી દિવસોમાં રાજ્યની બીજા મેડિકલ કોલેજોમાં પણ આવી ઘટનાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવવામાં આવશે. જો એક પણ એવી ફરિયાદ મળશે તો તાત્કાલિક સસ્પેન્શન સહિત કડક કાર્યવાહી કરવામાં આવશે. 'કેટલાંક કેસોમાં વિદ્યાર્થીઓ આત્મહત્યા સુધી પહોંચે છે'મંત્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે, રેગિંગ જેવી માનસિક હિંસાના કારણે કેટલાંક કેસોમાં વિદ્યાર્થીઓ આત્મહત્યા સુધી પહોંચે છે. 18 થી 20 વર્ષની ઉંમરે માનસિક દબાણ અને સહનશક્તિ ઓછી હોય છે, તેથી દરેક વિદ્યાર્થીએ અન્યની લાગણી અને જીવન પ્રત્યે જવાબદાર રહેવું જરૂરી છે. રાજ્ય સરકારના આ કડક નિર્ણય પછી કોલેજમાં કડક મોનિટરિંગ અને એન્ટીરેગિંગ સિસ્ટમ વધુ મજબૂત કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 6:36 pm

હિંમતનગરમાં પોલીસ પરિવારની મહિલાઓની આક્રોશ રેલી:ધારાસભ્યના પટ્ટા-ટોપી ઉતારવાના નિવેદન સામે મહિલાઓનો રોષ

બનાસકાંઠાના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પોલીસના પટ્ટા-ટોપી ઉતારવાના નિવેદન બાદ રાજ્યભરના પોલીસ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ નિવેદનના વિરોધમાં આજે હિંમતનગરમાં પોલીસ પરિવારની મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે આક્રોશ રેલી યોજી હતી. આ રેલી હેડક્વાર્ટર અને એ-ડિવિઝન પોલીસ ક્વાર્ટર્સની હદમાં યોજાઈ હતી. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બે દિવસ અગાઉ એક પોલીસ સ્ટેશનની મુલાકાત દરમિયાન પોલીસના પટ્ટા-ટોપી ઉતારી દેવા અંગે કરેલું નિવેદન નિંદનીય છે. પોલીસ બંધારણ દ્વારા સોંપાયેલી ફરજો બજાવે છે અને તેમના માટે કોઈ પક્ષ કે રાજકીય અગ્રણી સમાન હોય છે. રાજ્યભરમાં આ નિવેદનની ટીકા થઈ રહી છે. હિંમતનગરમાં પોલીસ ક્વાર્ટર્સમાં રહેતા પુષ્પાબેન પરમાર અને કુંદનબા ડોડિયાએ જણાવ્યું હતું કે, પોલીસ પરિવારની મહિલાઓ અને બાળકો ધારાસભ્યના આ નિવેદનથી ખૂબ જ વ્યથિત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પોલીસને મળેલી સત્તા બંધારણ દ્વારા અપાયેલી છે અને બઢતી-બદલી વહીવટી પ્રક્રિયાનો ભાગ છે. નિવૃત્ત પોલીસ સંગઠનના પ્રમુખ બી.ટી. શર્માએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય પાંચ વર્ષ માટે ચૂંટાય છે, જ્યારે પોલીસ દળમાં શિક્ષિત યુવાનો અને યુવતીઓ સ્નાતક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના આધારે પસંદગી પામે છે. આવા અધિકારીઓ વિરુદ્ધ મનોબળ તોડે તેવા ઉચ્ચારણો ધારાસભ્યને શોભતા નથી. તેમણે ઉમેર્યું કે, જીગ્નેશ મેવાણીએ તેમના વાણીવિલાસ બદલ જાહેરમાં માફી માંગવી જોઈએ, અન્યથા આગામી દિવસોમાં પોલીસ પરિવારો દ્વારા વધુ વિરોધ કાર્યક્રમો યોજવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 6:30 pm

નર્મદા જિલ્લામાં મતદાર યાદી સુધારણા-SIR:દબાણ અને તણાવ વચ્ચે પણ BLO દ્વારા 53%થી વધુ કામગીરી પૂર્ણ

ભારતના ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલા મતદાર યાદી સુધારણા- SIR કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં મતદાર યાદી સુધારણાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ભારે દબાણ અને તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે પણ બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા અત્યાર સુધીમાં કુલ 4,69,487 મતદારો પૈકી 53.71 ટકા મતદારોનું મોબાઈલ વેરિફિકેશન સહિતની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવાઈ છે. જિલ્લામાં નોંધાયેલા કુલ 4,69,487 મતદારો માટે 617 બુથ કાર્યરત છે અને દરેક બુથ પર એક BLOની નિમણૂક કરવામાં આવી છે. શિક્ષકો, ગ્રામસેવકો, તલાટીઓ અને આંગણવાડી બહેનો જેવા કર્મચારીઓ BLO તરીકે ઘરે-ઘરે ફરીને એન્યુમરેશન (EF) ફોર્મ-2 ભરવાનું તથા માહિતીનું ચકાસણી કાર્ય કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે તેઓ શનિ-રવિની રજાઓમાં પણ શાળાઓમાં બેસીને મોડી રાત સુધી નવી મતદાર યાદી તૈયાર કરવા માટે કામગીરી કરી રહ્યા છે. વિધાનસભાવાર અને તાલુકાવાર પ્રગતિની વિગતોBLO મારફતે ડિજિટાઈઝેશન પ્રક્રિયા આગામી તા. 04 ડિસેમ્બર-2025 સુધી ચાલુ રહેશે. અત્યાર સુધીમાં થયેલી પ્રગતિ નીચે મુજબ છે: તાલુકાવાર એન્યુમરેશન પ્રગતિ (ટકાવારીમાં) સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 53.71% મતદારોનું મોબાઈલ નંબર વેરિફિકેશન થયું છે. આ કામગીરી દ્વારા વર્ષ 2002ની મતદાર યાદીમાં સમાવિષ્ટ મતદારોની ઓળખ કરી લેવામાં આવી છે. બાકીની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 6:30 pm

હજીરાના મોરા-દામકાની ખાડીમાં માછલીઓના ટપોટપ મોત:મળ- મૂત્રવાળું પાણી ખાડીમાં છોડાતા પાણીમાં ઓક્સિજનનું લેવલ ઘટી ગયું

સુરતમાં હજીરાના મોરા-દામકા વિસ્તારની ખાડીમાં સીવેજનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર સીધું જ છોડી દેવાતા માછલીઓના ટપોટપ મોત થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. મળ-મૂત્રવાળું પાણી સીધું જ ખાડીમાં છોડી દેવાતા ખાડીના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું છે. પાણીમાં ઓક્સિજનની માત્રા ઘટી જતાં રોજેરોજ માછલીના મોત થઈ રહ્યા છે. આ મૃત માછલી તણાઈને કિનારે આવી રહી છે. ખાડીમાં ટ્રીટમેન્ટ વગરનું પાણી છોડાતા દુર્ગંધ ફેલાતા સ્થાનિકોમાં પણ અસંતોષની લાગણી જોવા મળી રહી છે. ખાડીમાં મળ-મૂળવાળું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર બારોબાર છોડી દેવાયુંચોર્યાસી તાલુકાના હજીરા અને મોરા ગામની આસપાસથી પસાર થતી ખાડીમાં મળ-મૂળવાળું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર બારોબાર છોડી દેવાતું હોવાની ફરિયાદ ઊઠી હતી. આ ફરિયાદને પગલે કોંગ્રેસી દર્શન નાયકે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતને ફરિયાદ કરી હતી. ખાસ કરીને મોરા વિસ્તારમાં અંદાજિત 15 000 લોકોની વસ્તી છે. ઔદ્યોગિક વિસ્તાર હોવાથી પરપ્રાંતિયોની વસ્તી ખૂબ મોટી છે. હવે આ વિસ્તારમાંથી મળ, મૂત્રવાળું પાણી સીધું દામકા ગામની દક્ષિણ બાજુએ આવેલી ખાડીમાં છોડવામાં આવી રહ્યું છે. આ ખાડીનું પાણી સમુદ્રમાં પણ ઠલવાઈ રહ્યું છે. પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટી રહ્યું છેવીતેલા 8 વર્ષથી આવી જ રીતે મળ-મૂત્રવાળું પાણી કોઈપણ જાતની ટ્રીટમેન્ટ વગર સીધું ખાડીમાં છોડી મૂકવામાં આવે છે. જેને કારણે આસપાસના વિસ્તારોમાં ભારે દુર્ગંધ પણ ફેલાઈ રહી છે. જોકે હવે તો પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. ઓક્સિજન ઘટી જતાં સવારે કેટલીક માછલીઓના મોત થયા હતા. મૃત માછલોએ તણાઈને કિનારે આવી જતાં સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સ્થાનિકોએ ગુજરાત પ્રદૂષણ બોર્ડને પણ ફરિયાદ કરી છે. લોકોના આરોગ્ય સામે પણ ગંભીર જોખમ હોવાથી તાત્કાલિક અસરથી પગલાં ભરવા માંગણી કરાઈ છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 6:28 pm

માવઠાથી શાકભાજીના ભાવમાં 30% સુધીનો ઉછાળો:મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું, બજારમાં શાકભાજીની આવકમાં ઘટાડો થતાં સ્થિતિ સર્જાઈ

રાજ્યમાં તાજેતરમાં થયેલા વરસાદી માવઠાને કારણે શિયાળુ શાકભાજીના ભાવમાં સરેરાશ 30 ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે. બજારમાં શાકભાજીની આવકમાં ઘટાડો થતાં આ સ્થિતિ સર્જાઈ છે, જેનાથી મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, અનિચ્છનીય સમયે થયેલા વરસાદી માવઠાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. પાકને થયેલા નુકસાન અને બજારમાં ઓછી આવકને કારણે શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. મુખ્ય શાકભાજીના ભાવમાં કમોસી વરસાદ પહેલા અને હાલના ભાવ (પ્રતિ કિલો) નીચે મુજબ છે વેપારીઓના મતે, માલની અછત અને વધતી માંગને કારણે આગામી દિવસોમાં પણ ભાવ સ્થિર થવાની શક્યતા ઓછી છે. આના પરિણામે, સામાન્ય ગૃહિણીઓને રોજિંદા રસોડાના ખર્ચમાં વધારો સહન કરવો પડશે અને તેમનું બજેટ વધુ ખોરવાશે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 6:23 pm

બનાસકાંઠામાં NCC દિવસની ઉજવણી:35 ગુજરાત એન.સી.સી. બટાલિયન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન

બનાસકાંઠામાં 35 ગુજરાત એન.સી.સી. બટાલિયન દ્વારા એન.સી.સી. દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ જી.ડી. મોદી કોલેજ અને એસ.ડી.એ.યૂ. યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયો હતો. આસિસ્ટન્ટ કલેક્ટર અભિષેક તાલેની ઉપસ્થિતિમાં એન.સી.સી. ગાર્ડ ઓફ ઓનર સાથે ઉજવણીનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે કેડેટ્સ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિ ગીતો અને સમૂહ નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. એન.સી.સી. એકમ દ્વારા સાયકલ રેલીનું પણ આયોજન કરાયું હતું, જેમાં કેડેટ્સે પર્યાવરણ સંરક્ષણ અને 'ફિટ ઈન્ડિયા'નો સંદેશ આપ્યો હતો. આસિસ્ટન્ટ કલેક્ટર અભિષેક તાલેએ એન.સી.સી. કેડેટ્સના અનુશાસન, દેશભક્તિ અને સામાજિક યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે યુવાનોને રાષ્ટ્રીય વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવા આહ્વાન કર્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે, એન.સી.સી. બટાલિયન દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કેડેટ્સ, વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના ભાગરૂપે, કેડેટ્સ માટે નડાબેટ સરહદ ગાથા મ્યુઝિયમ અને બોર્ડર ક્ષેત્રનો શૈક્ષણિક પ્રવાસ પણ યોજવામાં આવ્યો હતો. આ પ્રવાસનો ઉદ્દેશ્ય કેડેટ્સને સરહદી સુરક્ષા અને રાષ્ટ્રીય સલામતી અંગે માહિતગાર કરવાનો હતો. પ્રવાસ દરમિયાન, કેડેટ્સે બી.એસ.એફ.ની કાર્યપ્રણાલી, સરહદ સુરક્ષા સાધનો અને દેશની સરહદોની વ્યૂહાત્મક અગત્યતા વિશે વિગતવાર માહિતી મેળવી હતી.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 6:13 pm

શંખેશ્વરમાં વ્યસન-જુગાર સામે કાર્યવાહીની માંગ:વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજે પોલીસને આવેદનપત્ર આપ્યું, પોલીસે અસરકારક પગલાં લેવાની બાંહેધરી આપી

શંખેશ્વર અને આસપાસના ગામડાઓમાં વધી રહેલા વ્યસન અને જુગાર જેવી બદીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજે શંખેશ્વર પોલીસ સ્ટેશનને આવેદનપત્ર સુપરત કર્યું છે. ગ્રામજનોએ યુવાધનના ભવિષ્ય અને સામાજિક શાંતિ પર પડતી ગંભીર અસરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આવેદનપત્રમાં જણાવાયું છે કે, દારૂ, જુગાર, ગાંજો, બિયર, નશીલાં ઇન્જેક્શન અને ગોળીઓ જેવી વસ્તુઓના સેવનથી યુવાધન વિનાશ તરફ ધકેલાઈ રહ્યું છે. આ ગેરકાયદે પ્રવૃત્તિઓ યુવાનોના જીવન અને ભવિષ્યને અંધકારમય બનાવી રહી છે, જેની દેશના ભાવિ પર પણ ગંભીર અસર પડી રહી છે. વ્યસનના કારણે અનેક પરિવારોમાં અશાંતિ, કલહ અને તણાવ જોવા મળે છે, જેની સ્ત્રીઓ તથા બાળકો પર સૌથી વધુ નકારાત્મક અસર થઈ રહી છે. આ બદીઓથી અસામાજિક તત્વોની હિંમત વધી છે, જેના પરિણામે સામાજિક વ્યવસ્થામાં અશાંતિ અને અસુરક્ષાનું વાતાવરણ ઊભું થયું છે. બહેન-દીકરીઓની મર્યાદા, સુરક્ષા અને શિક્ષણ પર પણ આ ઘટનાઓની સીધી અસર પડી રહી છે. ગામડાઓની યુવતીઓ અસામાજિક તત્વોથી ડરીને પોતાનું શિક્ષણ અધૂરું છોડવા મજબૂર બને છે. ગ્રામજનોને ભીતિ છે કે વ્યસન અને નશીલા પદાર્થોનું વધતું જાળું આવનારી પેઢીને પણ વિકૃતિ તરફ દોરી જશે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા શંખેશ્વર પોલીસ સ્ટેશનને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં દારૂના વેચાણ અને સેવન, જુગારના ધંધા અને નશીલા પદાર્થોના વેપારમાં સંકળાયેલા તમામ તત્વો સામે તાત્કાલિક કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માંગણી કરવામાં આવી છે. સમાજના આગેવાનોએ પોલીસને વિનંતી કરી છે કે, સમગ્ર શંખેશ્વર વિસ્તારમાં વિશેષ અભિયાન ચલાવી આ તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓને મૂળમાંથી નાથવામાં આવે. આનાથી યુવાધનને સાચા માર્ગ પર દોરી શકાય અને સમાજમાં ફરીથી શાંતિપૂર્ણ તથા સુરક્ષિત વાતાવરણ સ્થાપિત કરી શકાય. ગ્રામજનોએ પોલીસને ખાતરી આપી છે કે, તેઓ દરેક કાર્યવાહી દરમિયાન સંપૂર્ણ સહકાર આપશે અને વ્યસનમુક્ત શંખેશ્વર બનાવવા માટે પોલીસ સાથે રહીને કાર્ય કરવા તત્પર રહેશે. શંખેશ્વર પોલીસે પણ રજૂઆતને ગંભીરતાથી લઈને તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાની બાંહેધરી આપી છે. સમાજ અને પોલીસ વચ્ચેના આ સંકલનથી શંખેશ્વર વિસ્તાર ટૂંક સમયમાં વ્યસન અને જુગારમુક્ત બનશે, અને ગામડાઓમાં ફરીથી શાંતિ, સુરક્ષા અને વ્યવસ્થા સ્થાપિત થશે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 6:11 pm

કચ્છમાં 2-દિવસમાં 3.29 કરોડના દારૂની હેરાફેરી ઝડપાઈ, બે શખ્સોની ધરપકડ:મુન્દ્રામાં ટાટા કંપનીના ટ્રેલરમાંથી 1.62 કરોડનો અને અન્ય વાનમાંથી 1.43 કરોડનો મુદ્દામાલ કબ્જે

રાજ્યમાં દારૂના ગેરકાયદેસર તસ્કરી નેટવર્ક સામે પોલીસે કડક પગલા ભરતાં કચ્છમાં મોટા પાયે દારૂ હેરાફેરીનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC), કસ્ટમ્સ વિભાગ અને રેલવે અધિકારીઓની સંયુક્ત ટીમે 22 અને 23 નવેમ્બર દરમિયાન મુન્દ્રા પોર્ટ પર મોટા પ્રમાણમાં કાર્યવાહી હાથ ધરીને 3.29 કરોડની હેરાફેરી ઝડપી છે. 3.29 કરોડના દારૂની હેરાફેરી ઝડપાઈસ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પશ્ચિમ કચ્છ-ભુજની હદમાંથી માત્ર બે દિવસની અંદર કુલ 3,29,48,300નો ગેરકાયદેસર IMFLનો મુદ્દામાલ કબ્જે કરીને મોટી સફળતા મેળવવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો વિશાળ જથ્થો બાલાજી ટ્રેડિંગ કંપની, ફિરોઝપુર, પંજાબ ખાતેથી રેલવેના માધ્યમથી ગુજરાતમાં પ્રવેશ કરાવાઈ રહ્યો હતો, જે ગેરકાયદેસર સપ્લાય ચેઇનને છતી કરે છે. વધુમાં, પકડાયેલા IMFLના જથ્થા પરના બેચ નંબરો, સ્ટીકર અને કોડને જાણી જોઈને નષ્ટ કરવામાં આવ્યા હતાં. ટાટા કંપનીના ટ્રેલર વાનમાંથી 1.62 કરોડથી વધુનો જથ્થો જપ્તમળતી માહિતી મુજબ, 22 નવેમ્બરે મુન્દ્રા ખાતે પહોંચેલા ટાટા કંપનીના એક ટ્રેલર વાનમાં ટીમે તપાસ હાથ ધરી હતી. શરૂઆતમાં ખાલી કન્ટેનર મળતાં તપાસમાં ટીમે વધારે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન અંદાજે રૂ. 1.62 કરોડથી વધુના IMFL દારૂનો મોટો જથ્થો મળ્યો હતો. અન્ય વાનમાંથી 1.43 કરોડનો મુદ્દામાલ કબ્જેગઈકાલે 23 નવેમ્બરે રેલવે વિભાગની મદદથી બીજી સફળ કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલા અન્ય વાનમાંથી રૂ. 1.43 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બંને કાર્યવાહી મળીને અત્યાર સુધી કુલ 3 કરોડથી વધુનો દારૂ મળી આવ્યો છે. આરોપીઓની ધરપકડ, 10 દિવસના રિમાન્ડ મંજૂરઆ કેસમાં અત્યાર સુધી બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. કોર્ટએ બંને આરોપીઓને 10 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દારૂ પંજાબથી લોડ કરી કચ્છ સુધી રેલવેના માર્ગથી ગુજરાતમાં એન્ટ્રી કરાવવામાં આવ્યો હતો. મુખ્ય સુત્રધાર જેલમાં હોવા છતાં નેટવર્ક સક્રિયતપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેરકાયદેસર નેટવર્કનો મુખ્ય સાગરિત લિસ્ટેડ બૂટલેગર અનુપસિંહ રાઠોડ હાલ જેલમાં છે, પરંતુ બહારના તેમના સાથીદારો મારફતે હેરાફેરી ચાલુ હતી. પોલીસ હવે નેટવર્કમાં સંકળાયેલા અન્ય શખ્સો, ટ્રાન્સપોર્ટ ચેનલ અને ફાઇનાન્સિંગ લિંક અંગે વધુ તપાસ કરી રહી છે. અગાઉ પણ પકડાયો હતો કરોડોનો દારૂમાહિતી અનુસાર આ જ ગેંગ પાસેથી અગાઉ પણ રૂ. 1 કરોડ અને રૂ. 1.49 કરોડનો દારૂ કબ્જે કરાયો હતો. જે દર્શાવે છે કે નેટવર્ક લાંબા સમયથી સક્રિય છે. રાજ્ય મોનિટરિંગ સેલે જણાવ્યું છે કે મળેલા દારૂના કોડ અને સ્ટીકર પરથી સપ્લાય ચેઇન અને ખરીદદારો સુધી પહોંચવા માટે તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 6:04 pm

શાળામાં વોલીબોલ રમતા રમતા વિદ્યાર્થી ઢળી પડ્યો:રાજકોટની SNK સ્કૂલના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીનું હાર્ટ એટેકના કારણે મોત, એકના એક પુત્રના મોતથી પરિવાર પર આભ ફાટ્યું

રાજકોટની SNK સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીનું શાળામાં વોલીબોલ રમતી સમયે ઢળી પડ્યા બાદ મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. રવિવારે સાંજના સમયે વોલીબોલ રમતી સમયે ઢળી પડતા વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. 18 વર્ષીય વિદ્યાર્થીનું મોત હાર્ટએટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવક પરિવારનો એકનો એક પુત્ર હોવાનું સામે આવ્યું છે. નાની ઉંમરના વ્યકિતને આવેલા હાર્ટએટેકના હુમલાએ ફરી એકવાર ચિંતા વધારી છે. SNK સ્કૂલના મેદાનમાં વોલીબોલ રમતી સમયે આદિત્ય ઢળી પડ્યોપ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના ક્રિસ્ટલ મોલ પાછળ આવેલા પેલેનિયમ હેરિટેજમાં રહેતા આદિત્ય અલ્કેશભાઈ વાછાણી (ઉ.વ.18) ગઈકાલે (23 નવેમ્બરે) સાંજે SNK સ્કૂલના મેદાનમાં તેમના મિત્રો સાથે વોલીબોલ રમતો હતો ત્યારે રમતા રમતા અચાનક જ બેભાન થઈ ગયો હતો. તેને તત્કાલ નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તબીબોએ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. યુનિવર્સિટી પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. એકનો એક પુત્ર ગુમાવતા વાછાણી પરિવાર પર આભ ફાટ્યુંઆ અંગે પરિવારજનો પાસેથી જાણવા મળ્યું કે, આદિત્ય તેના માતા પિતાનો એકનો એક દીકરો હતો. તે ધો.12 મા અભ્યાસ કરતો. તેને સ્પોર્ટ્સમાં ખૂબ જ રુચિ હતી એટલે સ્પોર્ટ્સમેન હતો. તેના પિતા અલ્કેશભાઈને મેટોડામાં ફેક્ટરી છે. એકના એક પુત્રના આમ અચાનક મોતથી પરિવારમાં ભારે કલ્પાંત છવાયો હતો.મૃતક આદિત્યના પરિવારજનોએ દુ:ખ વ્યક્ત કરતા સરકારને વિનંતી કરી હતી કે, વર્તમાન સમયમાં નાની વયે હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે.આદિત્ય તેના માતા પિતાનો એકનો એક દીકરો હતો. તેના અચાનક મોતથી પરિવાર ખૂબ જ આઘાતમાં છે. મૃતકના પિતરાઈભાઈએ કહ્યું- 'આદિત્યને એકપણ બીમારી નહોતી'મૃતક આદિત્યના પિતરાઈ ભાઈ વિશ્વ પટેલે દિવ્યભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, આદિત્ય ધોરણ 12 સાયન્સમાં SNK સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો હતો. તેને સ્પોર્ટ્સનો ખુબ જ શોખ હતો. જેથી તે વોલીબોલ રમતો હતો. જોકે રવિવારે સાંજે તે પોતાની સ્કૂલમાં મિત્રો સાથે વોલીબોલ રમી રહ્યો હતો ત્યારે 7.15 વાગ્યા આસપાસ અચાનક રમતા રમતા ઢળી પડ્યો હતો. જેથી તેના મિત્રો તેને તુરંત જ સ્કૂલની સામે આવેલી શાંતિ હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે ત્યાં પહોંચતા તબીબોએ તેનું મૃત્યુ નિપજ્યું હોવાનુ જાહેર કર્યું હતુ. તેને કોરોના સામે બચવા માટે વેક્સિન લીધેલી હતી. વેક્સિનના કારણે થયું કે શું એ ખબર નથી. કારણકે તેને એક પણ જાતની બીમારી ન હતી. જેથી મારી સરકારને વિનંતી છે કે હાલમાં જે રીતે યુવાનોમાં હૃદય રોગનું પ્રમાણ વધી રહ્યું છે તો તે બાબતે ચોક્કસ તારણ કાઢવાની જરૂર છે. કારણકે આદિત્ય તેમના માતા - પિતાનો એકનો એક પુત્ર હતો.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 6:03 pm

મોરબીમાં DGGIના દરોડા:બે સિરામિક યુનિટ પર કાર્યવાહી, ત્રણ આંગડિયા પેઢીમાં પણ સર્ચ ઓપરેશન ચાલુ

મોરબીમાં આજે સવારથી DGGI (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેતપર પીપળી રોડ પર આવેલા બે સિરામિક યુનિટ અને શહેરની ત્રણ આંગડિયા પેઢીઓમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જેતપર પીપળી રોડ પર આવેલા પ્લેટિનિયમ સિરામિક અને આર્ટ ટાઇલ્સ નામના બે સિરામિક યુનિટ પર કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, મોરબીના જૂના બસ સ્ટેશન પાસે આવેલા ધરતી ટાવરમાં આવેલી ત્રણ આંગડિયા પેઢીઓમાં પણ તપાસ ચાલી રહી છે. ડીજીજીઆઈની ટીમ દ્વારા આ એકમોના રોકડ અને અન્ય નાણાકીય વ્યવહારોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ટીમે કેટલાક મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ સાહિત્ય પણ કબજે કર્યા છે. આ સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે અને વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 5:55 pm

ગીરસોમનાથમાં મોજશોખ-પ્રેમિકાનો ખર્ચ કાઢવા સિરિયલ કિલિંગ!:વેરાવળમાં એનેસ્થેસિયાનું ઈન્જેક્શન આપી મહિલાના ઘરમાં લૂંટ, મિત્રને મોરફીનની 10 ગોળી પીવડાવી મોતને ઘાટ ઉતાર્યો

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં એક મહિલાના શંકાસ્પદ મોતની તપાસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. હુડકો સોસાયટીની માનવ રેસિડેન્સી વિસ્તારમાં 12 દિવસ પહેલાં થયેલું ભાવનાબેન ચાંડેગરાનું મોત હવે હત્યામાં પરિણમ્યું છે. પોલીસે આ કેસની ગૂંથી ઉકેલીને એક એવા સીરિયલ કિલરને ઝડપી પાડ્યો છે, જે મોજશોખ અને પ્રેમિકાના ખર્ચને પહોંચી વળવા માટે લૂંટના ઇરાદે બે નિર્દોષ લોકોનો ભોગ લીધો હતો. સિરિયલ કિલર પકડાતાં એસ.પી. જયદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે સમગ્ર ઘટનાની વિગત આપી હતી અને આરોપી શ્યામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ગેરરીતિ બદલ ત્રણેય હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી છે અને તેમના વિરુદ્ધ રિપોર્ટ પણ કરવામાં આવશે. આ ચોંકાવનારા ખુલાસાથી સમગ્ર વેરાવળ અને જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. જીવલેણ ઇન્જેક્શન આપ્યું, ડૂમો લીધો ભાવનાબેનને થેલેસેમિયાનો ટેસ્ટ કરાવવાના બહાને હત્યારો આવ્યો હતો. બ્લડ સેમ્પલ લેવાના સમયે તેણે એનેસ્થેસિયાનું ઓવર ડોઝ ઇન્જેક્શન આપી દીધું હતું. બાદમાં, ભીના નેપકીનથી ડૂમો આપી હત્યા કરી અને સોનાની ચેઇન-બુટી લૂંટીને ભાગી ગયો. પડોશી શ્યામ ચૌહાણની ધરપકડતપાસની સોય મૃતકના નજીકમાં જ રહેતા પડોશી શ્યામ ચૌહાણ તરફ વળી. પોલીસને ત્યારે નિર્ણાયક કડી મળી જ્યારે શ્યામ લૂંટાયેલા સોનાના દાગીના IIFLમાં ગીરવે મુકવા પહોંચ્યો હતો. ઊંડાણપૂર્વક પૂછપરછમાં તેણે બંને હત્યાનો ગુનો કબૂલ કર્યો હતો. શંકાસ્પદ સંજોગોથી શરૂ થઈ તપાસભાવનાબેનના ઘરે તપાસ દરમિયાન પોલીસને અનેક શંકાસ્પદ કડીઓ મળી હતી. રૂમમાં ટેબલ પર ઇન્જેક્શન, મૃતકના હાથ પર સોયના નિશાન, ગાદલામાં લોહીના ડાઘ અને શરીર પરથી દાગીના ગાયબ હોવાથી પોલીસે શરૂઆતથી જ હત્યાની શંકા સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મેડિકલ જ્ઞાનનો ઉપયોગ કરી કરતો હત્યાપોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી શ્યામ ચૌહાણ મેડિકલ ક્ષેત્રે ત્રણ અલગ-અલગ હોસ્પિટલોના ICU યુનિટમાં ફરજ બજાવી ચૂક્યો હતો. તેને રોગીઓને આપવામાં આવતા એનેસ્થેસિયા અને મોરફીન જેવી પ્રતિબંધિત દવાઓના ઉપયોગ અને તેના જીવલેણ ડોઝનું ઊંડું જ્ઞાન હતું. ચાર મહિના પહેલાં મિત્રની પણ હત્યાપોલીસને તપાસમાં જાણવા મળ્યું કે આ માત્ર એક હત્યા નહોતી. ચાર મહિના પહેલાં શ્યામે પોતાના મિત્ર અભિષેકને પણ નિશાન બનાવ્યો હતો. તેણે અભિષેકને ઠંડા પીણામાં મોરફીનની 10 ગોળીઓ પીવડાવી અને પછી ડૂમો આપી હત્યા કરી હતી. આ હત્યા બાદ તેણે અભિષેક પાસેથી સોનાની વીંટી અને રોકડા રૂ. 20 હજાર લૂંટ્યા હતા. મોજશોખ અને પ્રેમિકાનો ખર્ચપોલીસના જણાવ્યા અનુસાર, શ્યામ ચૌહાણ મોજ-શોખમાં જીવતો યુવક હતો. પ્રેમિકાના ખર્ચને પહોંચી વળવા અને દૈનિક જીવનમાં પૈસાની તંગીને દૂર કરવા માટે તેણે લૂંટનો રસ્તો અપનાવ્યો અને આ માટે નિર્દોષોના પ્રાણ લીધા. લૂંટમાંથી મળેલા પૈસા વડે તેણે પોતાની પ્રેમિકા માટે મંગળસૂત્ર પણ ખરીદીને આપ્યું હતું. હોસ્પિટલોની ગંભીર બેદરકારી સામે આવીશ્યામ ICUમાં ફરજ દરમિયાન દર્દીઓને આપવામાં આવતા પ્રતિબંધિત ઇન્જેક્શન ગેરરીતિથી પોતાના પાસે રાખતો હતો અને તેનો ઉપયોગ હત્યામાં કર્યો. હોસ્પિટલોમાં આવી દવાઓનો સખત રેકોર્ડ ન રાખવાની ગંભીર બેદરકારી સામે આવી છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 5:55 pm

મહિલા ત્રીજા માળેથી કૂદી:અમદાવાદના ઈસનપુર તળાવમાં મેગા ડિમોલિશન, સુરતમાં મહિલા BLOનું શંકાસ્પદ મોત, VCE અને પૂર્વ સરપંચ વચ્ચે મારામારી

ફિક્સ પગારના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય રાજ્ય સરકારના વર્ગ-3 અને વર્ગ-4ના ફિક્સ પગારના કર્મચારીઓને સોંપાયેલા વધારાના કાર્ય માટે હવે સેમ કેડર માટે 5% અને સિનિયર લેવલના વધારાના ચાર્જ માટે 10% ભથ્થું મળશે. 2021 પછીના કર્મચારીઓને આનો લાભ મળશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો અમદાવાદના ઈસનપુર તળાવમાં મેગા ડિમોલિશન અમદાવાદના ઈસનપુર તળાવમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. 4 ભાગમાં ડિમોલિશન કરી 925 જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવશે. મકાન આપ્યા વિના જ કામગીરી શરૂ કરાતા અનેક લોકો બેઘર થયા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો જામનગરને 622‎ કરોડના વિકાસકાર્યોની ભેટ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાયો. 139 પિલર્સ પર ઊભા કરાયેલા આ બ્રિજ નીચે પેઇડ પાર્કિંગ અને ફૂડ ઝોન સહિતની અનેક સુવિધાઓ છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ જામનગરવાસીઓને રૂ. 622‎ કરોડના વિકાસકાર્યોની ભેટ આપી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી ઉત્તરાખંડમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી. જેમાં 5 લોકોનાં મોત થયા. જ્યારે ગુજરાતના 5 સહિત 17થી વધુ ઘાયલ છે. મોતને ભેટેલા લોકોમાં એક ગુજરાતીનો પણ સમાવેશ થાય છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો મેવાણીના પટ્ટા ઉતારી દેવા વાળા નિવેદનનો વિરોધ જીજ્ઞેશ મેવાણીના પટ્ટા ઉતારી દેવા વાળા નિવેદન પર પોલીસ પરિવારો આકરા પાણીએ છે. ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં પોલીસ પરિવારોએ 'મેવાણી હાય હાય'ના નારા લગાવી વિરોધ નોંધાવ્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો મહિલા BLOનું શંકાસ્પદ મોત, પરિવાર શોકમાં ગરકાવ સુરત મનપામાં કામ કરતા મહિલા BLOનું શંકાસ્પદ મોત નિપજ્યું. તેઓ ઓલપાડના માસમા ગામે ઘરે બાથરૂમમાં બેભાન મળ્યા. મહિલા અધિકારીના મોતને પગલે પરિવાર ભારે શોકમાં ગરકાવ થયો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો અમદાવાદઃ ફ્લેટના ત્રીજા માળેથી કૂદી મહિલાનો આપઘાત અમદાવાદના ચાંદખેડામાં ફ્લેટના ત્રીજા માળેથી કૂદીને મહિલાએ આપઘાત કર્યો. આપઘાતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આપઘાતનું કારણ અકબંધ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ભાવી પતિના ક્રોસ વેરિફિકેશનથી માઠું લાગતા આપઘાત સુરત ડોક્ટર રાધિકા આપઘાત કેસમાં નવો ખુલાસો થયો છે. મંગેતરની પૂછપરછમાં સામે આવ્યું કે, ફોઈ સાથેની કોઈ વાતનું મંગેતરે ક્રોસ વેરિફિકેશન કરતા તેને માઠું લાગી આવ્યું હતુ. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો જૂનાગઢઃ VCE અને પૂર્વ સરપંચ વચ્ચે મારામારી જૂનાગઢ તાલુકાના ચોકી ગ્રામ પંચાયત કચેરીમાં VCE અને પૂર્વ સરપંચ વચ્ચે મારામારી થઈ. આ ઉગ્ર ઝઘડા બાદ બંને પક્ષે સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુરતઃ પોલીસ સ્ટેશનના ટેરેસ પરથી કૂદી યુવકનો આપઘાત સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનના ટેરેસ પરથી કૂદી યુવકે આપઘાત કર્યો. યુવક પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવ્યો હતો. એવામાં અચાનક ચાર માળના પોલીસ સ્ટેશનના ટેરેસ પર ચડી છલાંગ લગાવી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 5:51 pm

દાહોદમાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ:જશવંતસિંહ ભાભોર સહિતના નેતાઓએ વિવિધ રમતો રમી યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું, રાજ્ય કક્ષાના વિજેતા રમતવીરોનું સન્માન

દાહોદ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં સાંસદ ખેલ મહોત્સવ-2025નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે રાજ્ય કક્ષાએ વિજેતા બનેલા દાહોદ જિલ્લાના રમતવીરોને શાલ અને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરાયા હતા. સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર સહિતના મહેમાનોએ વિવિધ રમતોમાં ભાગ લઈને યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ મહોત્સવમાં આધુનિક રમતોની સાથે પરંપરાગત ગુજરાતી રમતોને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. ફિટ ઇન્ડિયા અભિયાનને વેગ આપવા અને પર્યાવરણ જાગૃતિ માટે “એક પેડી એક ઝાડ” અભિયાન અંતર્ગત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, આ મહોત્સવનો મુખ્ય હેતુ યુવાનોમાં રહેલી પ્રતિભાને જાગૃત કરવાનો અને તેમને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમતમાં આગળ લાવવાનો છે. તેમણે દેવગઢ બારીયા ખાતે નવનિર્મિત રમતગમત સંકુલનો પણ ઉલ્લેખ કર્યો, જ્યાં રમતવીરોને રહેઠાણ, ભોજન અને અનુભવી કોચની તાલીમની સુવિધા મળી રહી છે. ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ કહ્યું કે, ગામડાના છેવાડાના બાળકોમાં અપાર ક્ષમતા છે, તેમને માત્ર યોગ્ય મંચ અને પ્રોત્સાહનની જરૂર છે. આવા કાર્યક્રમો તેમની પ્રતિભાને બહાર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, અગ્રણી અભિષેક મેડા તથા જિલ્લા રમતગમત વિભાગના અધિકારી-કર્મચારીઓ સહિત સેંકડો રમતવીરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ ખેલ મહોત્સવથી દાહોદ જિલ્લામાં રમતગમત પ્રત્યે જાગૃતિ અને યુવા પેઢીમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા મળી છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 5:39 pm

ધ્રાંગધ્રાની શિશુકુંજ શાળાના ત્રણ એથ્લેટ્સનું ઉત્કૃષ્ટ પ્રદર્શન:SGFI રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે, લખનૌ જશે

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરની શિશુકુંજ શાળાના ત્રણ એથ્લેટ્સ SGFI (સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. તાજેતરમાં યોજાયેલી SGFI શાળાકીય રાજ્યકક્ષા એથ્લેટિક્સ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને આ યુવા ખેલાડીઓએ રાષ્ટ્રીય સ્તરે સ્થાન મેળવ્યું છે. ગરીયા ભરત રણછોડભાઈ (હેમર થ્રો), વણઝારા અમન પ્રકાશભાઈ (ઊંચી કૂદ) અને સુમેરા પ્રશાંત મેહુલભાઈ (200 મીટર દોડ) રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેશે. આ ત્રણેય ખેલાડીઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) દ્વારા સંચાલિત 'ઇન સ્કૂલ યોજના' અંતર્ગત તાલીમ મેળવી રહ્યા છે. SAGની આ યોજના યુવા પ્રતિભાઓને શાળા સ્તરેથી જ માર્ગદર્શન અને સુવિધાઓ પૂરી પાડીને તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તૈયાર કરવા માટે કાર્યરત છે. આ યોજનાની સફળતાનું આ એક ઉદાહરણ છે. રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેતા પહેલા, આ ત્રણેય ખેલાડીઓએ તાજેતરમાં દાહોદ-દેવગઢ બારીયા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત 15 દિવસના સઘન 'પ્રી-નેશનલ કેમ્પ'માં ભાગ લીધો હતો. આ તાલીમ શિબિરે તેમને રાષ્ટ્રીય કક્ષાના પડકારો માટે તૈયાર થવામાં મદદ કરી છે. આ પ્રશિક્ષણ બાદ હવે આ ખેલાડીઓ રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે ઉત્તર પ્રદેશના લખનૌ શહેર જવા રવાના થશે. આ યુવા ખેલાડીઓની સિદ્ધિ પર તેમના કોચ કરણ ઘાંઘરે જણાવ્યું હતું કે, ઘણા વર્ષો પછી શાળાના ત્રણ ખેલાડીઓ એકસાથે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ ખેલાડીઓ મેડલ જીતીને ગુજરાત, સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા શહેરનું નામ રોશન કરશે. ગુજરાત સરકાર રમતગમતને પ્રોત્સાહન આપવા અને ખેલાડીઓને જરૂરી સહાય પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. ધ્રાંગધ્રા શહેરના આ યુવા ખેલાડીઓની સિદ્ધિ અન્ય યુવા ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 5:35 pm

જામનગરમાં BLO ફરજ દરમિયાન શિક્ષિકા બેભાન:હાઈપરટેન્શનને કારણે ચક્કર આવી જતાં હોસ્પિટલમાં દાખલ કરાયા, હાલ તબિયત સુધારા પર

જામનગરમાં ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના આદેશ અનુસાર ચાલી રહેલી સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) કામગીરી દરમિયાન એક શિક્ષિકા બેભાન થયા હતા. મસીતીયા વાડી શાળાના શિક્ષિકા હિરલબેન ત્રિવેદી 79-વિધાનસભા વિસ્તારમાં સત્યમ કોલોની, આહીર સમાજ પાસે BLO તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આજે સવારે ફરજ દરમિયાન હિરલબેનને અચાનક ચક્કર આવતા તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, તેમને હાર્ટ એટેક નથી આવ્યો પણ હાઈપરટેન્શનના કારણે તેઓ બેભાન થયા હતા. હાલ તેઓને જી.જી. હોસ્પિટલના ICU માં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સઘન સારવાર ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતાં સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને BLO ની સારવાર માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી. હાલ હિરલબેન ત્રિવેદીની તબિયત સુધારા પર હોવાનું જણાવાયું છે. તેઓ વોર્ડ નંબર 7, બૂથ ભાગ નંબર 26 માં કામગીરી કરી રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 5:22 pm

સોરી સાહેબ અમારાથી ભૂલ થઈ ગઈ:ડોન શહેબાઝ પઠાણની હવા નીકળી, રિક્ષાચાલકને માર મારનાર ત્રિપુટીને પોલીસે પકડી કાન પકડાવી જાહેરમાં માફી મંગાવી

વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારના જાણીતા દાદા તરીકે ઓળખાતા શહેબાઝ પઠાણ અને તેના બે સાથીદારોએ રિક્ષાચાલક અને તેના ભત્રીજાને રોડ પર ઢોર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદ નોંધાતાં જ ફતેગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે મથકમાં લાવી જાહેરમાં કાન પકડાવડાવી ઉઠક-બેઠક કરાવી અને પીડિત પરિવાર સમક્ષ માફી મંગાવી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. આ ઘટના 22 નવેમ્બરના રોજ રાત્રે ડી-કેબિન રોડ પર બની હતી. રિક્ષાચાલક નાઝીમ અબ્દુલ કાદીર ખલીલખાન પઠાણ (ઉં.વ.) અને તેનો ભત્રીજો અજીમખાન આસમોહમ્મદ પઠાણ એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યા હતા. ફોન આવતાં અજીમખાને એક્ટિવા રોડની સાઇડમાં ઊભી રાખી હતી. તે જ વખતે શહેબાઝ પઠાણ મોપેડ પર ત્રાટક્યો અને ગાળો આપવા લાગ્યો હતો. અજીમખાને ગાળો ન આપવા કહી દીધું તેનાથી ગુસ્સે ભરાયેલા શહેબાઝે તેને ગાલ પર લાફો મારી દીધો હતો. નાઝીમે વચ્ચે પડવાનો પ્રયાસ કરતાં શહેબાઝના બે મિત્રો પણ ત્યાં પહોંચી ગયા અને ત્રણેયએ નાઝીમને રોડની બાજુમાં લઈ જઈ લાત-ઘૂંટા તથા લાફા-થપ્પડનો માર સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાસ્થળે પહોંચેલા નાઝીમના મોટા ભાઈ નાસીરખાને વચ્ચે છોડાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. નાઝીમને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની ફરિયાદ નાઝીમ પઠાણે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં પોલીસે ત્રણેય આરોપીઓ શહેબાઝ પઠાણ સહિતની ત્રિપુટીને તાત્કાલિક ઝડપી પાડી હતી. આરોપીઓને પોલીસ સ્ટેશન લાવી જાહેરમાં કાન પકડાવી ઉઠક-બેઠક કરાવી હતી સાથે પીડિત પરિવાર પાસે માફી મંગાવી હતી.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 5:12 pm

ચોટીલામાં ATM તોડવા આવેલી ગેંગ ઝડપાઈ:પાંચ આરોપીઓ પાસેથી હથિયારો, સાધનો અને ₹2.63 લાખનો મુદ્દામાલ જપ્ત

ચોટીલામાં 5 શખસોએ ATM તોડવા માટે કાવતરૂ ઘડ્યું હતું. દેશી હાથ બનાવટનો તમંચો, બે જીવતા કાર્ટીસ, લોખંડની હથોડી સહિતના હથિયારો સાથે ATM તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ શખસો ATM તોડે એ પહેલા જ પોલીસે ગેંગનો પર્દાફાશ કરી તમાને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી હથિયારો, સાધનો અને ₹2.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ચોટીલા પોલીસ સ્ટેશનની ટીમ સરકારી તેમજ ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન, 24 નવેમ્બર, 2025 ના રોજ, ચોટીલા-થાનગઢ રોડ પરથી એક શંકાસ્પદ ફોરવ્હીલર ગાડી ચોટીલાથી થાનગઢ તરફ નાસી છૂટી હતી. પોલીસે ગાડીનો પીછો કર્યો હતો. શંકાસ્પદ વાહન ચોટીલા-થાનગઢ રોડ પર આવેલા બાપા સીતારામ મંદિરની બાજુમાં આવેલા જંગલ વિસ્તારના અવાવરુ કાચા રસ્તે વળ્યું હતું. પોલીસે ગાડીને કોર્ડન કરીને રોકી હતી. ગાડીની તપાસ કરતા તેમાંથી પાંચ ઇસમો મળી આવ્યા હતા. તેમની ઓળખ મેહુલ મકવાણા (રહે. રાજકોટ), અજય ઉઘરેજા (રહે. સુખપરા, તા. ચોટીલા), રોકીરાજ કુશવાહ (રહે. બિહાર), રવિશંકર રાજુ શાહ (રહે. બિહાર) અને બિરુકુમાર ચંદાર્મારામ રામે (રહે. બિહાર) તરીકે થઈ હતી. આરોપીઓ પાસેથી અને ગાડીમાંથી કુલ રૂ. 2,63,370નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં એક દેશી હાથ બનાવટનો તમંચો, બે જીવતા કાર્ટીસ, એક લોખંડની હથોડી, એક નાનું ત્રિકમ જેવું હથિયાર, એક લોખંડ કાપવાની આરી, એક પતરા કાપવાની કાતર, આઠ બ્યુટેન ગેસની બોટલ (200 ગ્રામ), કેમેરા પર કલર કરવા માટેનો સ્પ્રે, ગેસ બોટલ પર લગાવવાની વાલ્વ વાળી સિંગલ નાળની નોઝલ, ડબલ નાળની નોઝલ, બે કાળા ચશ્મા, છ મોબાઈલ ફોન અને રૂ. 3500 રોકડાનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે, અજય ઉર્ફે અંકિત ઉઘરેજાને પૈસાની જરૂર હતી. આશરે એક મહિના પહેલા દિલ્હી ખાતે તેમની ઓળખાણ બિરુકુમાર ચંદર્મારામ સાથે થઈ હતી. અજય બિરુકુમારને કામ માટે રાજકોટ લાવ્યા હતા, ત્યારબાદ બિરુકુમાર બિહાર પરત ફર્યા હતા. બાદમાં, અજયે બિરુકુમારને ફોન કરીને ATM તોડવાના કામ બાબતે વાત કરી હતી. જેના પગલે બિરુકુમાર ચંદર્મારામ, રોકીરાજ સુરેશસિંહ કુશવાહ અને રવિશંકર રાજુ શાહ ત્રણેય બિહારથી રેલવે મારફતે અમદાવાદ સુધી આવ્યા હતા અને ચોટીલા ખાતે અજય ઉર્ફે અંકિત મળ્યો હતો. ચોટીલાથી ચારેય ઇસમો રાજકોટ ગયા હતા. જ્યા અજયે તેના બનેવી મજકુર ઇસમ મેહુલને બોલાવ્યો જ્યારે મેહુલે રોકીરાજ તેમજ રવિશંકર તથા બિરૂકુમાર એમ ત્રણેયને રાજકોટ હોટલમાં રૂમ ભાડે રખાવી આપ્યો હતો. ત્રણ ચાર દિવસ સુધી બધાએ ભેગા મળી ચોટીલા ખાતે એસ.બી.આઇ. બેન્કનું ATM તોડવાનું કાવતરૂ ઘડ્યુ હતું. અજય તેમજ મેહુલ બન્ને ATMની રેકી કરી ગયા બાદ તા. 20/11/2025ના રોજ રાજકોટ ખાતેથી તમામ આરોપીઓ સાથે રહી તમંચો તથા બે જીવતા કાર્ટીસ સાથે રાખી ATM તોડવા માટેનો સામાન ખરીદી કર્યો હતો. જે બાદ રાત્રીના નવેક વાગ્યે નિકળી ચોટીલા ખાતે ફરીવાર આવી ATMની રેકી કરી હતી. રવિવારની રાત્રી હોવાથી પાંચેય ઇસમો ATMની લૂંટ કરવા ધાડ પાડવાની તૈયારી કરી હતી. જોકે, ATM તોડે એ પહેલા જ ગેંગનો પર્દાફાશ થયો છે. ચોટીલા પોલીસે પાંચેય શખસોને ઝડપી લીધા હતા.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 5:07 pm

ગોધરા સબ-જેલમાં સત્સંગ:150થી વધુ કેદીઓને આત્મસુધારણાનો સંદેશ અપાયો

ગોધરા સબ-જેલમાં સાવન કૃપાલ રૂહાની મિશન, ગોધરા સેન્ટર દ્વારા સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 150 થી વધુ કેદીઓએ ભાગ લઈને સત્સંગનો લાભ લીધો હતો. સંત રાજીન્દર સિંહજી મહારાજના આશીર્વાદથી યોજાયેલા આ સત્સંગમાં કેદીઓને ગુનાથી દૂર રહેવા, સાચા માનવી તરીકે જીવન જીવવા અને આધ્યાત્મિક માર્ગ અપનાવવા માટે પ્રેરણાત્મક સંદેશ આપવામાં આવ્યો. તેમને નિયમિત ધ્યાન અભ્યાસ કરવા માટે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વર્ષ 2001 થી ગોધરા સબ-જેલમાં નિયમિત રીતે યોજાતો આવ્યો છે, જે કેદીઓના આત્મસુધારણા માટે એક મહત્વપૂર્ણ પહેલ છે. સંત રાજીન્દર સિંહજી મહારાજ વિશ્વભરમાં પ્રવાસ કરીને ધ્યાનની ટેકનિકો શીખવાડે છે, જેથી વ્યક્તિ પોતાનો સાચો હેતુ – 'આપને ઓળખવું અને પરમાત્માને પામવું' – પૂર્ણ કરી શકે. તેમનો સત્સંગ આસ્થા ચેનલ પર સોમવારથી શનિવાર સવારે 8:20 થી 8:40 દરમિયાન પ્રસારિત થાય છે. સાવન કૃપાલ રૂહાની મિશનના વિશ્વભરમાં 3200 થી વધુ કેન્દ્રો છે અને તેના સાહિત્યનો અનુવાદ 55 થી વધુ ભાષાઓમાં થયો છે, જે તેની વૈશ્વિક પહોંચ દર્શાવે છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 4:56 pm

સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજ પર ભાસ્કરની બાઇક રાઇડ:માત્ર 3.5 મિનિટમાં 3.75 કિ.મીનું અંતર કાપી અંતિમ જંકશન પહોંચ્યા, ક્યાંય યુ-ટર્ન ન હોવાથી સરળતા

સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ બ્રિજ પર પ્રથમ જંકશનથી અંતિમ જંકશન સુધી પહોંચવામાં માત્ર સાડા ત્રણ મિનિટનો સમય લાગે છે. મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરાયા બાદ, દિવ્યભાસ્કર દ્વારા સૌપ્રથમ બાઈક રાઈડ કરીને સમગ્ર બ્રિજનો અનુભવ લેવામાં આવ્યો હતો. આ રાઈડ દ્વારા બ્રિજની વિશેષતાઓ અને માહોલ જાણવાનો પ્રયાસ કરાયો. બાઈક રાઈડ દરમિયાન, સાત રસ્તા સર્કલ આવ્યું, જે ખાસ કરીને ખુલ્લું રાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે ફ્લાયઓવર બ્રિજમાં સર્કલ છુપાઈ જતા હોય છે, પરંતુ આ બ્રિજમાં એક સર્કલ ખુલ્લું રાખવામાં આવ્યું છે, જેનો નજારો જોવા માટે પણ લોકો પહોંચ્યા હતા. આ બ્રિજ 3.75 કિલોમીટર લાંબો છે અને તેના પર ક્યાંય યુ-ટર્ન આવતો નથી. પ્રથમ જંકશનથી બ્રિજ પર ચડ્યા બાદ સીધા બીજા જંકશન પર ઉતરવાનું આવે છે, જે વાહનચાલકો માટે સરળતા પૂરી પાડે છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 4:53 pm

રાણપુરના બગડ ગામે ગટર ઉભરાતા સ્થાનિકો પરેશાન:એક મહિનાથી સમસ્યા, અનેક રજૂઆતો છતાં કાર્યવાહી નહીં; તાત્કાલિક નિરાકરણની માંગ

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બગડ ગામની ભરવાડ શેરીમાં છેલ્લા એક મહિનાથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગટરનું પાણી સતત શેરીઓમાં વહેતું હોવાથી સ્થાનિક રહીશો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ વધી ગયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ સમસ્યા અંગે ગ્રામ પંચાયતને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં આજદિન સુધી કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી નથી. પરિસ્થિતિ વધુ અસહ્ય બનતા, રહીશોએ ગંદકી અને ઉભરાતી ગટરના વીડિયો બનાવીને તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, જેથી તાત્કાલિક પગલાં લેવાય. figure class=custom-ckfigure image> ભરવાડ શેરીના આગેવાન જીવાભાઈ ભરવાડે આ અંગે જણાવ્યું હતું કે, “ગટરનું પાણી લાંબા સમયથી ઉભરાઈ રહ્યું છે, જેના કારણે રહીશો ભારે મુશ્કેલીમાં છે. રોગચાળો ફાટી નીકળે તે પહેલાં તંત્રે તાત્કાલિક પગલાં લેવા અત્યંત જરૂરી છે.” < રહીશોએ ચેતવણી ઉચ્ચારી છે કે જો સમયસર આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે, તો તેઓ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવા મજબૂર બનશે. સ્થાનિક લોકો તંત્રને ઝડપથી આ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા વિનંતી કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 4:52 pm

સરદાર પટેલની 150 યુનિટી માર્ચમાં પાલનપુરના ગજેન્દ્રકુમાર જોશીની પસંદગી:કહ્યું- 'આ યાત્રામાં જોડાવાનું સૌભાગ્ય મળ્યું, એનો ખૂબ આનંદ છે'

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યુવા અને ખેલ મંત્રાલય, ભારત સરકાર દ્વારા 'સરદાર 150 યુનિટી માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા માટે દેશભરના વિવિધ રાજ્યોમાંથી 150 પદયાત્રીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના વરિષ્ઠ શિક્ષણવિદ ગજેન્દ્રકુમાર ડાહ્યાલાલ જોશીનો સમાવેશ થાય છે. આ યુનિટી માર્ચ 26 નવેમ્બર, 2025ના રોજ કરમસદથી શરૂ થઈને કેવડિયા સુધી 150 કિલોમીટરનું અંતર કાપશે. My Bharat પ્લેટફોર્મ દ્વારા આ પદયાત્રાનું આયોજન કરાયું છે. આ રાષ્ટ્રીય પદયાત્રાનો મુખ્ય હેતુ એકતા, શાંતિ, રાષ્ટ્રવાદ અને સરદાર સાહેબના સમાજસેવાના સંદેશાને જનજન સુધી પહોંચાડવાનો છે. ગજેન્દ્રકુમાર ડાહ્યાલાલ જોશી પાલનપુરના વરિષ્ઠ શિક્ષણવિદ છે અને બનાસકાંઠા જિલ્લામાં કેળવણીક્ષેત્રે યોગદાન આપી રહ્યા છે. તેઓ આ યુનિટી માર્ચમાં સરદાર સાહેબના વિચારોને પ્રસારિત કરવામાં મદદ કરશે. ગજેન્દ્રકુમાર જોશીએ જણાવ્યું હતું કે, 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી કરમસદથી કેવડિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આ યાત્રા જશે. 150 વર્ષ, 150 કિલોમીટર અંતર, અને 150 પદયાત્રીઓ આ 10 દિવસની લાંબી પદયાત્રામાં જોડાવાના છે. આ પદયાત્રીઓની પસંદગી ભારત સરકારે કરી છે. આખા દેશમાંથી જુદા જુદા 150 પદયાત્રીઓને પસંદ કર્યા છે. મને તો સરદાર માટે ખૂબ પ્રીતિ છે. શરૂઆતથી જ જે જે લોકો મને જાણે છે, જેને મને સાંભળ્યો છે, જેને મારા લેખો વાંચ્યા છે, એ બધાને ખબર છે કે મને સરદાર માટેની અપાર પ્રીતિ છે. ગજેન્દ્રકુમાર જોશીએ વધુમાં જણાવ્યું કે, કેટલાક મારા વિદ્યાર્થીઓ, કેટલાક મારા સ્નેહીજનો મને સરદાર પણ કહે છે. કે તમે સરદાર જેવા ખૂબ કડક છો, ખૂબ આગ્રહી છો. એ રીતે આ યાત્રામાં જોડાવાનું સૌભાગ્ય મને મળ્યું છે, એનો ખૂબ આનંદ છે. હું 26 તારીખે એ યાત્રામાં જોડાવા માટે અહીંથી વિદ્યાનગર અને ત્યાંથી કરમસદ જવાનું છે અને ત્યાંથી આ તારંભાશે.150 યાત્રીઓ હશે તેની સાથે સાથે આખા દેશમાંથી બીજા અનેક યાત્રીઓ થોડો થોડો સમય આ યાત્રા સાથે જોડાતા રહેશે. એમ એક મોટી યાત્રા, 150 મુખ્ય યાત્રીઓ અને બીજી એક મોટી યાત્રા, આ સંગ તે ચાલ્યા કરશે. વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં જ્યાં એનો પડાવ થશે, એ પડાવ ઉપર રસ્તામાં સરદારના વિચારો જે છે, સરદારની લાગણી જે છે, સરદારે જે સંદેશો આપ્યો છે, એ બધો પહોંચાડવામાં આવશે. અને એના કારણે સરદાર જે છે એ ફરી આપણી વચ્ચે જીવંત થશે. આ રાષ્ટ્રનું સુંદર નિર્માણ થશે. આ યાત્રા ખૂબ સરસ રીતે જે સુયોજિત થઈ છે એના સુંદર પરિણામો આપણને મળશે. મને પણ ખૂબ આનંદ છે. આભાર, જય સરદાર.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 4:47 pm

જમીનનું અયોગ્ય વળતર મુદ્દે ખેડૂતોમાં અસંતોષ:ભુજમાં કોંગ્રેસ કિસાન સેલની ન્યાય સભા, મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા, રેલી યોજી તંત્રને આવેદનપત્ર રજુ કરાયું

વિશાળ વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં ખાનગી એકમના હાઈટેન્શન વીજ લાઈનના ચાલતા કાર્યમાં વપરાશમાં લેવાતી જમીન મામલે ખેડૂતોમાં અયોગ્ય વળતરને લઈ અસંતોષ વ્યાપક બન્યો છે. આ મુદ્દે વિરોધ કરતા ખેડૂતોને સરકારી નિયમ હેઠળ પોલીસ બળ મારફતે પરેશાન કરવામાં આવતા હોવાની વાતને લઈ ભુજમાં કોંગ્રેસ પ્રેરિત કિસાન સેલ દ્વારા કિસાન ન્યાય સભાનું આયોજન કરાયું હતું. શહેરના હમીરસર તળાવ નજીક મહાદેવ નાકા પાસે આ જાહેર સભા યોજાઈ હતી. સભા દરમિયાન વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ સત્તાપક્ષના વહીવટ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આગેવાનોએ સરકારના વહીવટને અંગ્રેજ શાસન સાથે સરખાવ્યો હતો અને ખાનગી એકમોની પેશકદમી સામે જો સમયસર લોક જાગૃતિ નહિ આવે તો ખૂબ મોટી નુકસાની થવાની ભીતિ પણ વ્યક્ત કરાઈ હતી. આ વેળાએ સ્થાનિક સાથે સમગ્ર કચ્છમાંથી કિસાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલિયાએ જણાવ્યું કે, કચ્છના ભચાઉ તાલુકામાં આવેલા વાંઢિયા અને ભુજના લોડાઈ ગામે ખેડૂતોની પરવાનગી વિના અદાણી કંપનીના કોન્ટ્રાકટર દ્વારા બળજબરીથી હાઇટેન્સન વિજ લાઈનના કામ કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક ખેડૂતો દ્વારા અયોગ્ય જમીન વળતર મુદ્દે કંપની સામે સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધ કરતા ખેડૂતો સામે પોલીસ મારફતે બળ પ્રયોગ કરવામાં આવે છે. ખેતરે જતા ખેડૂતોની દરરોજ અટકાયત કરી લેવામાં આવે છે. પરિવારની બહેન દીકરીઓ સાથે અસભ્ય વર્તન કરાય છે, છતાં સત્તાપક્ષ કે વહીવટી તંત્ર કંપનીની મનમાંની સામે મુકપ્રેક્ષક બની રહ્યા છે. ખેડૂતોને યોગ્ય વળતર અને સન્માન જળવાય તે હેતુસર આજે ભુજમાં કિસાન ન્યાય સભાનું આયોજન કરાયું છે. પ્રદેશ કોંગ્રેસના જયેશ પટેલ, કચ્છ કોંગ્રેસ પ્રમુખ વીકે હૂંબલ, અરજણ ભુડિયા(માધાપર), અંજલિ ગોર, રામદેવસિંહ જાડેજા, કિશોરદાન ગઢવી, એચ.એસ આહીર, મનજી રાઠોડ(ભચાઉ) દ્વારા આયોજન વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હિતેશ મહેશ્વરી અને બહુજન ભીમ આર્મીના લખન ધુવાએ તેજાબી વક્તવ્ય આપ્યું હતું. સભા બાદ ખેડૂત સમર્થનમાં કિસાનો સાથેની રેલી યોજાઈ હતી. જે કલેકટર કચેરીએ પહોંચી આવેદનપત્ર રજૂ કરાયું હતું.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 4:39 pm

રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 31,834 આરોપી તપાસ્યા:100 કલાકમાં 11,880ના ડોઝીયર તૈયાર, 4,506 આરોપી અન્ય રાજ્યના નીકળ્યા, 2,326ના મોત થઈ ગયા

ગુજરાત પોલીસની સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત 100 કલાકમાં રાષ્ટ્રવિરોધી તત્વોનું ચેકીંગ પૂર્ણ થયું છે. જેમાં રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા આ પરિણામલક્ષી કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે છેલ્લા 30 વર્ષના ડેટાબેઝની તપાસ કરીને કુલ 31,834 આરોપીઓનું ઘરે-ઘરે જઈને ચેકિંગ કર્યું છે. ગુજરાત એટીએસ દ્વારા રાષ્ટ્રવિરોધી તત્વોને હથિયાર સહિત જીવલેણ મુદ્દામાલ સાથે પકડી પાડવાની ઘટના અને ત્યારબાદ દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની દુઃખદ ઘટનાને ગંભીરતાથી લઈને, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યમાં તકેદારી વધારવા માટે તાત્કાલિક એક્શન પ્લાન ઘડી જરૂરી આદેશો આપ્યા હતા. 100 ક્લાકમાં વેરીફિકેશન કરીને ડોઝિયર તૈયારરાજ્યની સુરક્ષાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે વિકાસ સહાયે 17મી નવેમ્બરે એક મહત્વની બેઠક યોજીને તમામ જિલ્લાના પોલીસ વડાઓને છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં પકડાયેલા આરોપીઓનું સઘન વેરીફિકેશન કરીને ડોઝિયર તૈયાર કરવાની કામગીરી આગામી 100 કલાકમાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી. ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો સમાવેશઆ વેરીફિકેશન પ્રક્રિયામાં મુખ્યત્વે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુનાઓ અન લૉ ફુલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ (UAPA), ટેરેરિસ્ટ ડિસરપ્ટીવ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ (TADA), NDPS એક્ટ, આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ એક્ટ, ફેક ઇન્ડિયન કરન્સી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પોલીસે આ આરોપીઓની હાલની પ્રવૃત્તિઓ અને નોકરી સહિતની વિગતોની પૂછપરછ કરી છે. 'પ્રથમ તબક્કાનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ'રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે,ગુજરાત પોલીસ દ્વારા ચેકિંગનું પ્રથમ તબક્કાનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. વિકાસ સહાયે જણાવ્યું હતું કે હવે બીજા તબક્કામાં રાષ્ટ્રવિરોધી તત્વો પર કાયમી ધોરણે મજબૂત નિયંત્રણ રાખવા રાજ્ય બહારના આરોપીઓનું ચેકિંગ કરી તેમના ડોઝિયર તૈયાર કરવા માટે પણ ખાસ SOP તૈયાર કરીને સઘન કાર્યવાહી કરવામાં આવશે. શું છે આ 5 પાનાનું સિક્રેટ 'ડોઝિયર'?પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલું આ ડોઝિયરમાં આરોપીના જીવનના દરેક પાસાને આવરી લેવામાં આવ્યા છે. આ પાંચ પાનાના ડોઝિયરમાં આરોપી પોતે કઈ વિગતો આપે છે અને પોલીસ કઈ માહિતી એકત્ર કરે છે, ડોઝિયરના સૌથી પહેલા પાના પર આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરતા ફોટોગ્રાફ્સ રહેશે. પોલીસ માત્ર એક સાદો ફોટો નહીં, પરંતુ ત્રણ અલગ-અલગ એંગલથી ફોટા લઈ રહી છે, સામેનો ફોટો, જમણી બાજુનો ફોટો, ડાબી બાજુનો ફોટો શામેલ છે આ ફોટા લેટેસ્ટ હોવા જરૂરી છે, જેથી હાલના દેખાવ મુજબ તેને ઓળખી શકાય. આ ફોટા AI ડેટાબેઝમાં અપલોડ કરવામાં આવશે, જેથી CCTV કેમેરા પણ આરોપીને ભીડમાં ડિટેક્ટ કરી શકે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 4:39 pm

અશોક ચૌધરીની 15 સભ્યોની પૂર્ણ પેનલે ફોર્મ ભર્યા:દૂધસાગર ડેરી ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, સમરસ ચૂંટણીની પ્રબળ શક્યતા

ઉત્તર ગુજરાતની પ્રતિષ્ઠિત દૂધસાગર ડેરીની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આ ચૂંટણીમાં રસપ્રદ રાજકીય ગતિવિધિ જોવા મળી રહી છે, જેમાં અશોક ચૌધરીની પેનલ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. અશોક ચૌધરીની આગેવાની હેઠળની પેનલે બપોરે 12.39 કલાકે ફોર્મ ભર્યું હતું. આ પેનલમાં 15 સભ્યોનો સમાવેશ થાય છે. જેમણે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડના આધારે ઉમેદવારી નોંધાવી છે. મહેસાણા દૂધસાગર ડેરીમાં નિયામક મંડળની 15 બેઠકો માટે 7 ડિસેમ્બરે ચૂંટણી યોજવાની જાહેરાત કરાઈ છે. જે માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોઈ કલેક્ટર કચેરીમાં આવેલી ચૂંટણી અધિકારીની કચેરીમાં ફોર્મ ભરવા ધસારો જામશે. ચૂંટણી અધિકારી દેવાંગ રાઠોડે કહ્યું ,કે 60થી વધુ ફોર્મ વિતરણ થયાં અશોક ચૌધરીના ટેકેદારોનો મોટો જમાવડો જોવા મળ્યો હતોસવારે 11.30 વાગ્યે ડેરીથી નીકળીને 15 સભ્યો ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસ તરફ રવાના થયા હતા. ફોર્મ ભરનારાઓમાં અશોક ચૌધરીની સાથે ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરી અને માણસાના પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીનો પણ સમાવેશ થાય છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન દૂધસાગર ડેરી અને કલેક્ટર ઑફિસ ખાતે અશોક ચૌધરીના ટેકેદારોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો. જે શક્તિ પ્રદર્શન સમાન હતો. 15 સભ્યોની પેનલ સિવાય અન્ય કોઈ ફોર્મ નહીં ભરાય તો ચૂંટણી સમરસ જાહેર થઈ શકેડેરીના 15 ડિરેક્ટર માટે આ ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં અંદાજે 1280 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.હાલની સ્થિતિ જોતાં એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે કે, જો અશોક ચૌધરીની 15 સભ્યોની પેનલ સિવાય અન્ય કોઈ ફોર્મ નહીં ભરાય તો ચૂંટણી સમરસ જાહેર થઈ શકે છે. અત્યાર સુધી તમામ બાજુથી સમાધાન કરીને ચૂંટણી સમરસ થાય એવી શક્યતા વધુ દેખાઈ રહી છે.જોકે પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની પેનલમાંથી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવે તો ચૂંટણીનો જંગ ખેલાઈ શકે છે. હાલમાં સૌની નજર વિપુલ ચૌધરીના સમર્થકોના આગામી પગલાં પર ટકેલી છે. નિયામક મંડળ જ નહીં પશુપાલકો પણ ચૂંટણી સમરસ ઇચ્છી રહ્યા છેડેરીના ચેરમેન અશોક ચૌધરીએ નિવેદન આપ્યું છે કે, ચૂંટણી સમરસ થાય એવો માહોલ છે. ફોર્મ ભર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, માત્ર નિયામક મંડળ જ નહીં પરંતુ, પશુપાલકો પણ ઇચ્છી રહ્યા છે કે ચૂંટણી સમરસ થાય. ચૌધરીના કહેવા પ્રમાણે, આખું નિયામક મંડળની ચૂંટણી સમરસ થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. 15 ડિરેક્ટરની બેઠકો માટે યોજાનારી આ ચૂંટણીમાં 1280 મતદારો પણ સર્વસંમતિથી ઉમેદવારોની વરણી થાય તેવું ઈચ્છે છે.જેના કારણે બોર્ડની રચના શાંતિપૂર્ણ માહોલમાં થાય તેવી શક્યતા.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 4:31 pm

બોટાદમાં 10 દિવસમાં 57 હજાર ખેડૂતોએ સહાયના ફોર્મ ભર્યા:જિલ્લામાં પાક નુકસાની સહાય માટે 70 ટકા કામગીરી પૂર્ણ

બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે સરકારી સહાય માટે ખેડૂતોની અરજી પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. જિલ્લા ખેતીવાડી અધિકારી યુ. જે. પટેલના જણાવ્યા અનુસાર, માત્ર 10 દિવસમાં 57 હજાર ખેડૂતોના સહાય ફોર્મ ભરાઈ ગયા છે. જિલ્લામાં પાક નુકસાની સહાય ફોર્મ ભરવાની 70 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ અરજી પ્રક્રિયા 14 નવેમ્બરથી શરૂ કરવામાં આવી હતી. 24 નવેમ્બર બપોર સુધીમાં કુલ 57,000 ફોર્મ ભરાયા છે. જોકે, હજુ 30 ટકા કામગીરી બાકી છે. અગાઉ જિલ્લાના કુલ 189 ગામોમાં પાક નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં 1,78,611 હેક્ટર વિસ્તારમાં 33 ટકા કે તેથી વધુ પાક નુકસાન નોંધાયું હતું. જિલ્લા ખેતીવાડી અધિકારી યુ. જે. પટેલે બાકી રહેલા તમામ ખેડૂતોને 28 નવેમ્બર પહેલા અરજી ફોર્મ ભરી દેવા અપીલ કરી છે, જેથી કોઈ પણ ખેડૂત સરકારી સહાયથી વંચિત ન રહી જાય.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 4:16 pm

OBC સમાજે કલેકટરને આવેદનપત્ર આપ્યું:ઓબીસી અધિકાર સુરક્ષા સમિતિની 54 ટકા અનામત સાથે ભરતી પ્રક્રિયામાં સુધારા માટેની માગ

ગુજરાતના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (OBC) સમાજને તેમની વસ્તીના પ્રમાણમાં પૂરતું પ્રતિનિધિત્વ મળે તે માટે ઓબીસી અધિકાર સુરક્ષા સમિતિ દ્વારા આજે કલેકટરને આવેદન પત્ર આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિગતવાર આવેદનપત્ર પોતાની માંગો સંદર્ભે રજૂઆત કરવામાં આવી છે. OBC અધિકાર સુરક્ષા સમિતિએ કલેકટરને આવેદનપત્ર આપ્યુંઓબીસી અધિકાર સુરક્ષા સમિતિ ગાંધીનગર ટીમ દ્વારા 54 ટકા અનામત આપવા સાથે ભરતી પ્રક્રિયામાં સુધારા માટે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે. સમિતિએ ભારતના બંધારણના અનુચ્છેદો 14, 15(4), 16(4) અને 340(1)નો આધાર લઈને તાત્કાલિક ધોરણે 54% અનામત આપવાની માગ કરી છે. ભરતી પ્રક્રિયામાં સુધારીને 54 ટકા અનામત કરવા માગસમિતિએ આવેદન આપી રજૂઆત કરી છે કે, ગુજરાતમાં 54% થી વધુ વસ્તી ધરાવતા OBC ને માત્ર 27% અનામત મળી રહી છે, જ્યારે 82 જાતિઓથી શરૂઆત થયા બાદ હવે તેમાં 64 નવી જાતિઓ ઉમેરાઈ હોવા છતાં અનામતની ટકાવારી યથાવત્ રહી છે. જે અન્યાય છે. ઓબીસી સમાજની મુખ્ય માંગણીઓહવે આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ને 10% અનામત મંજૂર થવાથી અનામતની કુલ મર્યાદા 50%થી વધી ગઈ છે, જેથી OBCની વસ્તીના પ્રમાણમાં 54% અનામત આપી શકાય છે. આ સિદ્ધાંત તામિલનાડુ જેવા રાજ્યોમાં પહેલેથી જ અમલમાં છે. ઓબીસી સમાજની મુખ્ય માંગણીઓમાં તાત્કાલિક અસરથી સરકારી ભરતી અને શૈક્ષણિક સંસ્થાઓમાં 54% અનામત લાગુ કરવાની અને આ સાથે જ જાતિ આધારિત વસ્તી ગણતરી ઝડપથી પૂર્ણ કરી વસ્તીની ટકાવારી મુજબ કાયમી ધોરણે અનામત નક્કી કરવાની રજૂઆત કરવામાં આવી છે. અનેક અન્યાયી નિયમો દૂર કરવા માગઆ ઉપરાંત ઝવેરી પંચનો અહેવાલ તાત્કાલિક જાહેર કરીને પંચાયતો અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ વસ્તી મુજબ બેઠકો ફાળવવાની માંગણી છે. આ સાથે આવેદનપત્રમાં ભરતી પ્રક્રિયાને લગતા અનેક અન્યાયી નિયમો દૂર કરી પોલીસ કોન્સ્ટેબલ અને PSI ભરતીમાં દોડના ગુણ દાખલ કરવા અને રક્ષાશક્તિ યુનિવર્સિટીના ઉમેદવારોને મળતા બોનસ ગુણ રદ કરવા માગ કરાઈ છે. સહાય યોજનાનું પોર્ટલ આખું વર્ષ ખુલ્લું રાખવા માગવધુમાં ભરતીમાં સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા લાગુ કરાયેલી 40%ની અન્યાયી લઘુતમ લાયકાત દૂર કરીને OBC માટે 25%નું ધોરણ નક્કી કરવા માગણી છે. GPSCની પરીક્ષાઓમાં મૌખિક ઇન્ટરવ્યૂનું વેઇટેજ 50%થી ઘટાડીને 12.2% કરવા, ઇન્ટરવ્યૂમાં OBC એક્સપર્ટ પ્રતિનિધિઓનો સમાવેશ કરવા અને ગુજરાતી ભાષાના ગુણ ફાઇનલ મેરિટમાં ગણવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી છે. ઉપરાંત સમિતિએ OBC વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેની સહાય યોજનાનું પોર્ટલ પણ EWSની જેમ આખું વર્ષ ખુલ્લું રાખવા માટે વિનંતી કરી છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 4:10 pm

સુરત મનપામાં કામ કરતા મહિલા BLOનું શંકાસ્પદ મોત:ઓલપાડના માસમા ગામે ઘરે બાથરૂમમાં અધિકારી બેભાન મળ્યા, મહિલાના મોત પાછળ ઘેરાતું રહસ્ય

રાજ્યમાં વધુ એક BLOના શંકાસ્પદ મોતની ઘટના સામે આવી છે. સુરતના મનપામાં કામ કરતા BLOનું મોત નિપજ્યું છે. વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ડિન્કલ શીંગોડાવાળા મહિલાનું મોત નિપજ્યું છે. ઓલપાડના માસમા ગામે ઘરે બાથરૂમાંથી મહિલા બેભાન અવસ્થામાં મળી આવી છે. પરિવાર દ્વારા હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી છે. મહિલા અધિકારીના મોતને લઇને પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. મહિલા અધિકારી SIRની કામગીરીમાં BLO તરીકે નિમાયા હતા. કામના ભારણને કારણે કે પછી આકસ્મિક મોતને લઈ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 3:45 pm

બોટાદની માઇનોર કેનાલોમાં બાવળ અને તિરાડો:ખેડૂતો દ્વારા સફાઈ અને સમારકામની માગ, ઘણા ગામોમાં પાણી પહોંચી શકતુ નથી

બોટાદ જિલ્લામાં નર્મદાની માઇનોર કેનાલોમાં ઝાડી-ઝાંખરા અને તિરાડોની સમસ્યા સામે આવી છે. બોટાદ તાલુકાના ઢીકવાળી ગામ પાસેથી પસાર થતી માઇનોર કેનાલમાં બાવળના ઝૂંડ જામી ગયા છે અને કેટલીક જગ્યાએ પાણી લીકેજ થઈ રહ્યું છે. આથી, ખેડૂતો દ્વારા તાત્કાલિક બાવળ કટિંગ કરવા અને કેનાલનું સમારકામ કરવાની માંગ કરવામાં આવી છે. સરકાર દ્વારા નર્મદા યોજના હેઠળ બોટાદ જિલ્લાના ખેતરો સુધી પાણી પહોંચાડવા માટે મીડિયમ અને માઇનોર કેનાલો બનાવવામાં આવી છે. આ પેટા કેનાલો દ્વારા ઉનાળા દરમિયાન પણ નાના ગામોના ખેતરોને પાણી મળી રહે તેવી વ્યવસ્થા છે. જોકે, કેનાલોના નબળા બાંધકામ અને બાવળ-ઝાડી-ઝાંખરાના કારણે પાણીનો પ્રવાહ અવરોધાય છે. પાણીની કુંડીઓ બ્લોક થવાથી ઘણા ગામો અને વિસ્તારોના ખેતરો સુધી પાણી પહોંચી શકતું નથી, અને કેનાલો તૂટી જવાની ઘટનાઓ પણ બને છે. બોટાદના સેથળી ગામથી ઢીકવાળી, સજેલી, વજેલી સહિતના ગામો સુધી જતી માઇનોર કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. ઉનાળુ વાવેતરમાં ઘઉં, જીરું, ચણા જેવા પાકો માટે ખેડૂતોને પાણીની તાતી જરૂર હોય છે. કુવામાં પાણી હોય ત્યાં સુધી મોટર દ્વારા પમ્પિંગ કરી પાણી મેળવવામાં આવે છે, પરંતુ ત્યારબાદ નર્મદા કેનાલનું પાણી પાક માટે અત્યંત મદદરૂપ થાય છે. જોકે, નબળા બાંધકામને કારણે આ કેનાલ ત્રણથી ચાર વખત તૂટી છે, જેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ઘૂસી જાય છે અને પાકને ભારે નુકસાન પહોંચાડે છે. કેનાલના ઊંચા-નીચા ઢોળાવ, બાંધકામમાં સિમેન્ટ-કોંક્રિટનો ઓછો ઉપયોગ અને વારંવાર ઊગી નીકળતા જંગલી બાવળ-ઝાડી-ઝાંખરા પણ ખેતરોને નુકસાન પહોંચાડે છે. યોગ્ય સમયે કેનાલોમાંથી ઝાડી-ઝાંખરા દૂર કરવામાં આવતા નથી કે તૂટેલી કેનાલોનું સમારકામ થતું નથી, જેના કારણે ખેડૂતોને કેનાલના પાણીથી પણ જોખમ રહે છે. ઢીકવાળી ગામના ભોપાભાઈ માલધારીએ આ અંગે માહિતી આપતા સમયાંતરે યોગ્ય સમારકામ અને બાવળ કટિંગ કરાવવાની માગ કરી છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 3:19 pm

પાટણ SOGએ નકલી ડોક્ટરને ઝડપ્યો:ડિગ્રી વગર એલોપેથીક દવાઓ આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા રંગે હાથ ઝડપાયો

પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) પોલીસે અબલુવા ગામમાંથી એક નકલી ડૉક્ટરને ઝડપી પાડ્યો છે. આ વ્યક્તિ કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો અને બીમાર લોકોને એલોપેથીક દવાઓ તથા ઈન્જેક્શનો આપી તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો. SOG પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રાનેર (કાનાણીપાટી) ગામનો વતની પીન્ટુસીંગ પ્રભાતસીંગ જાદવ, અબલુવા ગામમાં એદલા જતા રોડ પર આવેલી એક દુકાનમાં ડૉક્ટર તરીકે મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો છે. બાતમીના આધારે, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન, પીન્ટુસીંગ પાસે ડૉક્ટર તરીકેની કોઈ માન્ય ડિગ્રી કે સર્ટીફીકેટ ન હોવા છતાં તે બીમાર વ્યક્તિઓને તપાસી એલોપેથીક દવાઓ અને ઈન્જેક્શનો આપીને લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારીભર્યું કૃત્ય કરતો રંગે હાથ ઝડપાયો હતો. પોલીસે તેની પાસેથી એલોપેથીક દવાઓ, ઈન્જેક્શનો અને મેડિકલ સાધનો સહિત કુલ રૂ. 4581.97/- ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 3:09 pm

7 વર્ષથી ફરાર ચોરીનો આરોપી ઝડપાયો:LCBએ ખંભાતમાંથી આરોપીને પકડી GIDC પોલીસને સોંપ્યો

વલસાડ LCBને નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરીમાં સફળતા મળી છે. વાપી GIDC પોલીસ મથકમાં વર્ષ 2019માં નોંધાયેલા બે ઘરફોડ ચોરીના ગુનાઓમાં છેલ્લા સાત વર્ષથી ફરાર આરોપી મેવાલાલ ઘીસીલાલ મોહીતે (ઉંમર 33) ને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી મેવાલાલ મૂળ વાપીનો છે અને હાલ આણંદ જિલ્લાના ખંભાત ભાત તલાવડી વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. વલસાડ LCBની ટીમે LCB PI ઉત્સવ બારોટના નેતૃત્વ હેઠળ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી વોચ ગોઠવીને તેને ખંભાતમાંથી ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં, મેવાલાલે વાપી GIDC વિસ્તારમાં કરેલી બે ઘરફોડ ચોરીઓ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ ગુનાઓ કર્યા હોવાની કબૂલાત કરી છે. LCBએ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને વધુ તપાસ માટે વાપી GIDC પોલીસ મથકે સોંપ્યો છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 3:03 pm

વડોદરામાં મહિલા જુગારધામ ઝડપાયું:વડોદરાના વારસિયા વિસ્તારમાં ધમધમતું મહિલાઓનું જુગારધામ ઝડપાયું, 15 મહિલા ખેલીની ધરપકડ

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી સિંધુ પાર્ક સોસાયટીમાં ચાલતા જુગારધામ અંગેની બાતમી મળતા વારસિયા પોલીસે રાત્રે રેડ કરતા સ્થળ પરથી 15 મહિલા ખેલીઓને રંગેહાથ ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. આ મહિલાઓ પાસેથી પોલીસે રોકડ, મોબાઈલ સહિત કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી સિંધુ પાર્ક સોસાયટીમમાં આવેલા 4 નંબરના મકાનમાં રહેતી મહિલા જુગારધામ ચલાવે છે અને હાલમાં પણ બહારથી કેટલીક મહિલા બોલાવી છે અને જુગાર ચાલી રહ્યો હોવાની વારસિયા પોલીસને ઇનપુટ મળતા જ તાત્કાલિક રેડ કરી હતી. પોલીસ સ્થળ પર પહોંચી જોતા જ ચોકી ગઈ કારણ કે ત્યાં મહિલાઓ જુગાર રમી રહી હતી. પોલીસે પહોંચતા જ મહિલાઓમાં દોડધામ મચી જવા પામી હતી. દરમ્યાન પોલીસે મકાનમાંથી 15 જેટલી મહિલા ખેલીઓ સાથે રૂપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલી મહિલા જુગારીઓના નામ સરનામા (1) નીકીબેન હરેશકુમાર કિશનચંદ મનવાણી (રહે મ.ન.4 સિન્ધુ પાર્ક સોસાયટી વારસીયા વડોદરા) (2) રાજકુમારી વિષ્ણુભાઇ ઝાઝાની રહે બી/04, જેપી ફ્લેટ જુના આર.ટી.ઓ. વારસીયા વડોદરા શહેર (3) ચંદાબેન પ્રકાશભાઇ ટોચવાની રહે ટી/30, રૂમ નં.25, વાસવાણી કોલોની વારસીયા વડોદરા શહેર (4) હેમાબેન દિલીપભાઇ ચિમનાની રહે બી/66, રૂમ નં.261, જુના આર.ટી.ઓ. સામે વારસીયા વડોદરા શહેર (5) રોશની કુમારભાઈ સચદેવ રહે બી/37, હરિધામ સોસાયટી ખોડીયાર નગર વડોદરા શહેર (6) વિનાબેન ઓમપ્રકાશ સલુજા રહે મ.નં.એફ/2, ગીતા મંદિર સોસાયટી રામચોક ઠેકરનાથ મંદિર પાસે વડોદરા શહેર (7) રાશી મનિષકુમાર તોલાણી રહેઃબી/30, રૂમ નં.12, ભજનલાલ હોસ્પીટલ પાસે એસ.કે.કોલોની વારસીયા વડોદરા (8) રેખા નરેન્દ્રભાઈ નાનકાણી રહે: 308, વારસીયા કોટ વિસ્તાર વડોદરા શહેર (9) નિશા હરિકિશન વસનાની રહે: એ/204, પામકોર કોમ્પલેક્ષ, પ્રતાપનગર મેઇન રોડ વડોદરા શહેર (10) ચંપાબેન પ્રકાશભાઇ હરચંદાની રહેઃ સી/06 દાદાશ્યામ ફ્લેટ જુના આર.ટી.ઓ પાસે વારસીયા વડોદરા શહેર (11) રેશ્માબેન રાજેશભાઇ પુરુસવાણી રહે: 304, હરિહર એપાર્ટમેન્ટ પારસ સોસાયટીની બાજુમાં વારસીયા વડોદરા શહેર (12) રૂકમણીબેન કુંદનલાલ વાકવાની રહે:9, કમલ પાર્ક સોસાયટી, પુજાપાર્ક સોસાયટી પાસે વારસીયા વડોદરા શહેર (13) લતા ઉર્ફે દુર સુભાષ લાલવાની રહે:206, હરિહર એપાર્ટમેન્ટ પારસ સોસાયટીની બાજુમાં વારસીયા વડોદરા શહેર (14) કોમલબેન ગુલાબભાઈ નાગપાલ રહે-170, દાજીનગર, કલાવતી હોસ્પીટલ પાછળ વારસીયા વડોદરા શહેર (15) ચાંદની નરેશકુમાર મલાની રહે:બી/26, રૂમ નં. 145, એસ.કે.કોલોની વારસીયા વડોદરા શહેર

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 3:01 pm

મોરબીમાં મોબાઇલ ટાવરમાંથી કોપર વાયર ચોરી કરનાર બે ઝડપાયા:પોલીસે ધરમપુરના સ્મશાન પાસે વોચ ગોઠવી પકડ્યા, ₹1.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કોપર વાયરની ચોરી કરનાર બે આરોપીઓની મોરબી તાલુકા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી ચોરીનો કોપર વાયર અને ગુનામાં વપરાયેલી ઇકો કાર સહિત કુલ રૂ. 1.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે વાવડી રોડ, ગાયત્રીનગર, મોરબીના રહેવાસી રવિરાજસિંહ ઓમકારસિંહ જાડેજા (ઉં.વ. 32) એ ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, લક્ષ્મીનગર ગામની સીમમાં રામદેવ હોટલ પાસે આવેલા મોબાઇલ ટાવરમાંથી જુદી જુદી માપ સાઈઝના કોપર કેબલ વાયરની ચોરી થઈ હતી, જેની કિંમત આશરે રૂ. 30,000 હતી. ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ચોરોને પકડવા તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસ ટીમને ખાનગી બાતમી મળી હતી કે ચોરી કરેલો કોપર વાયર એક ઇકો કારમાં ધરમપુરથી મોરબી તરફ લાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ધરમપુર ગામના સ્મશાન પાસે વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થઈ રહેલી ઇકો કાર નંબર GJ 3 DN 2551ને રોકાવી તપાસ કરતા તેમાંથી ચોરી કરીને મેળવેલો કોપર કેબલ વાયર મળી આવ્યો હતો. પોલીસે કારમાં સવાર કાટીયા નરશી દેવીપૂજક (ઉં.વ. 32, રહે. કંકાવટી, તા. ધ્રાંગધ્રા) અને દીલીપ પોપટ દેવીપૂજક (ઉં.વ. 35, રહે. વાલબાઈની જગ્યા પાસે, ધ્રાંગધ્રા)ની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી આશરે 30 કિલો કોપર વાયર અને ગુનામાં વપરાયેલી ઇકો કાર સહિત કુલ રૂ. 1.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર કાર્યવાહી પીઆઇ એસ.કે.ચારેલની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 2:57 pm

જૂનાગઢના ગામમાં ​VCE અને પૂર્વ સરપંચ વચ્ચે મારામારી, CCTV:જાતિગત અપમાનના આરોપ બાદ ચોકી(સોરઠ)માં તંગદિલી, પૂર્વ સરપંચ સામે ફરિયાદ; ગામ બંધ પાળી VCEને બરતરફ કરવા માગ

જૂનાગઢ તાલુકાના ચોકી (સોરઠ) ગ્રામ પંચાયત કચેરીમાં ખેડૂત સહાય ફોર્મ ભરવાના મુદ્દે થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ગઈકાલે બપોરના સમયે અનુસૂચિત જાતિના VCE કેતનભાઈ મોહનભાઇ સોલંકી અને ગામના પૂર્વ સરપંચ ભીખાભાઈ વેલજીભાઈ કોટડીયા વચ્ચે થયેલા ઉગ્ર ઝઘડા બાદ બંને પક્ષે સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર મામલો એટલો વકર્યો છે કે આજે ગામમાં સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો છે અને VCEને બરતરફ કરવાની માગ કરવામાં આવી છે. VCEની ફરિયાદ: જ્ઞાતિ પ્રત્યે હડધૂત અને મારપીટનો આરોપ​ગ્રામ પંચાયત કચેરીમાં VCE તરીકે ફરજ બજાવતા કેતનભાઈ સોલંકીએ ગામના પૂર્વ સરપંચ ભીખાભાઈ વેલજીભાઈ કોટડીયા સામે ગંભીર ફરિયાદ નોંધાવી છે. જેમાં કેતનભાઈ ઓફિસમાં ખેડૂત સહાયના ફોર્મ ભરવાનું કામ કરી રહ્યા હતાં, ત્યારે ભીખાભાઈએ આવીને આક્ષેપ કર્યો કે કેતનભાઈ ખેડૂતો પાસેથી ફોર્મ ભરવાના ₹ 100 ઉઘરાવે છે. જ્યારે કેતનભાઈએ આ આક્ષેપ નકાર્યો અને ટી.ડી.ઓ.ને ફરિયાદ કરવાની વાત કરી, ત્યારે ભીખાભાઈ ઉશ્કેરાયા હતાં. જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દોભીખાભાઈએ જાહેરમાં તેમને જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહ્યા હતા,જેમાં તેમણે જણાવ્યું કે, તારે અહીં ગ્રામ પંચાયતમાં કામ કરવાનો અધિકાર નથી. મારે તને આ કામમાંથી કાઢવો છે. જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા બાદ ઓફિસની લોબીમાં જ ભીખાભાઈએ કેતનભાઈને ઢીકાપાટુનો ઢોર માર માર્યો હતો અને તેમના પિતાને પણ ગાળો આપીને તમારા સમાજને અહીં આવવાનો અધિકાર નથી તેમ કહ્યું હતું. ​પૂર્વ સરપંચની VCE સહિત 6 સામે હુમલો અને ધમકીની ફરિયાદ​બીજી તરફ હાલના મહિલા સરપંચના સસરા અને પૂર્વ સરપંચ ભીખાલાલ વેલજીભાઇ કોટડીયાએ પણ VCE કેતન સોલંકી અને તેના 6 કુટુંબીજનો વિરુદ્ધ ક્રોસ ફરિયાદ નોંધાવી છે. જેમાં ભીખાલાલની ફરિયાદ નોંધાવી છે કે, તેઓ સરકારી સબસિડીના કામ માટે VCE પાસે 8/અ કઢાવવા ગયા હતા. આ સમયે તેમણે VCE પર પાક સહાયના ફોર્મ ભરવાના પૈસા લેવાનો આક્ષેપ મૂક્યો હતો અને તેની પાસે પુરાવા તરીકે રેકોર્ડિંગ હોવાનું જણાવ્યું હતું. 'નિકળી જા ઓફીસ બહાર'આ આક્ષેપોથી કેતન સોલંકી ઉશ્કેરાયા અને ભીખાલાલને 'નિકળી જા ઓફીસ બહાર' કહીને કાઢી મૂકવાનો પ્રયાસ કર્યો. બાદમાં કેતને ફોન કરીને પોતાના કુટુંબીજનોને બોલાવ્યા હતાં, જેમાં તેના માતા-પિતા, ભાઈ રજનીશભાઈ, કુટુંબી કાકા પ્રવીણભાઈ અને નીતાબેન સોલંકી સહિત કુલ 6 આરોપીઓ સ્થળ પર આવી ગયા હતા. ઝપાઝપી કરીને માર માર્યોતમામ છ લોકોએ પંચાયત ઓફિસનો ડેલો બંધ કરી દીધો અને ગ્રાઉન્ડમાં ભીખાલાલ સાથે ઝપાઝપી કરીને શરીરે ઘૂંસાનો માર માર્યો હતો. આરોપી પ્રવીણ ચના સોલંકીએ તો ભીખાલાલને હવે અમે જોઈએ છીએ કે તું વાડીએ કેમ જા છો ? અમારે આડે ક્યાંય આવતો નહીં નહીંતર જાનથી મારી નાખશું તેવી ગંભીર ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. ​ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે આ મામલે જણાવ્યું કરતા જણાવ્યું હતું કે, ચોકી સોરઠ ગામે જે ઘટના બની છે જેને લઈ તાલુકા પોલીસ સ્ટેશનમાં કેતન સોલંકીએ ભીખાલાલ કોટડીયા વિરુદ્ધ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવા અને માર મારવા બદલ ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામે પક્ષે ભીખાલાલ કોટડીયાએ કેતન અને તેના પરિવાર સહિત છ સભ્યો વિરુદ્ધ રાયોટિંગની ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલમાં બંને ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. 'આક્ષેપ કરાયો છે તે તદ્દન પાયા વિહોણો છે'-VCE કેતન સોલંકી​આ મામલે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા VCE કેતન સોલંકીએ જણાવ્યું હતું કે, પૂર્વ સરપંચ ભીખાલાલ કોટડીયા હાલના મહિલા સરપંચના સસરા છે અને પોતે ભારતીય જનતા પાર્ટીની વગ ધરાવે છે. મારા પર સહાયના ફોર્મ ભરવાના ₹ 100 લેવાનો આક્ષેપ કરાયો છે તે તદ્દન પાયા વિહોણો છે. તેમણે વધુમાં કહ્યું કે ગ્રામ પંચાયતમાં સીસીટીવી કેમેરા લાગેલા છે અને ફોર્મ ભરવા આવેલા ખેડૂતો પાસેથી એક પણ રૂપિયો ન લીધો હોય તેવા પુરાવા પણ છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેમનો પરિવાર ભીખાલાલ પર હુમલો કરવા નહીં, પરંતુ તેમને બચાવવા માટે ત્યાં આવ્યો હતો. ​ગામમાં વિરોધ અને બંધ: VCEને બરતરફ કરવાની માંગ​આ સમગ્ર ઘટનાને પગલે ચોકી (સોરઠ) ગામનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. પૂર્વ સરપંચના સમર્થનમાં ગામના લોકોએ આજે સ્વયંભૂ બંધ પાળ્યો હતો. ઉપસરપંચ હિતેશ આસોદરિયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે જે બનાવ બન્યો, તેમાં પૂર્વ સરપંચ ભીખાલાલે VCE કેતન સોલંકીને માત્ર એટલું જ પૂછ્યું હતું કે, 'તું સહાય ફોર્મના ₹ 100 શા માટે ઉઘરાવે છે?' આ મામલે કેતન સોલંકીએ માજી સરપંચ ભીખાલાલ કોટડીયા વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવી છે. આ ખોટી ફરિયાદના વિરોધમાં અમે સમગ્ર ચોકી (સોરઠ) ગામને સ્વયંભૂ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે અને ગ્રામ પંચાયતના VCE કેતન સોલંકીને તાત્કાલિક બરતરફ કરવાની માગણી કરી છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 2:56 pm

પાટણ જિલ્લામાં વિશ્વ આંજણાધામની સંગઠન ચિંતન બેઠક યોજાઈ:પાંચ તાલુકાની ટીમ રચવા સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા

પાટણ જિલ્લામાં વિશ્વ આંજણાધામ દ્વારા સંગઠન ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક પાટણની આદર્શ વિદ્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં પાટણ, સરસ્વતી, સિદ્ધપુર, ચાણસ્મા અને હારીજ તાલુકાના સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય પાટણ જિલ્લાના આ પાંચ તાલુકાઓમાં વિશ્વ આંજણાધામની તાલુકાવાર ટીમોની રચના કરવાનો હતો. આ ટીમો સંકુલની વિવિધ કામગીરી અને યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરી સમાજના છેવાડાના લોકોને માહિતી પહોંચાડશે, જેથી તેમના બાળકો સંસ્થાના લાભ લઈ સર્વાંગીણ વિકાસ સાધી શકે. પાટણ જિલ્લાના પ્રભારી મુકેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં વિશ્વ આંજણાધામના ખજાનચી રમેશભાઈ ચૌધરી અને મંત્રી નાનજી ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંકુલ વિશે સંપૂર્ણ માહિતી પૂરી પાડી હતી. આદર્શ વિદ્યાલય, પાટણના પ્રમુખ હરેશ ચૌધરી અને સંસ્થાના હોદ્દેદારોના સહયોગથી બેઠકની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશ્વ આંજણાધામના નિર્માણ માટે મોટું દાન આપનાર દાતા ભલેન્દ્ર ચૌધરી અને ડૉ. રામશી ચૌધરી પરિવાર વતી જેસંગ ચૌધરીએ વિશેષ હાજરી આપી હતી. વિશ્વ આંજણાધામના પધારેલા હોદ્દેદારો દ્વારા તેમનું ખેસ ઓઢાડી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. હાજર રહેલા આગેવાનોએ એક અઠવાડિયામાં આ પાંચ તાલુકાઓમાં વિશ્વ આંજણાધામની ટીમોની રચનાનું કાર્ય પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. આ બેઠકનું સંચાલન વિશ્વ આંજણાધામ વતી જિલ્લાના સહયોગી પ્રતિનિધિ સાગર ચૌધરીએ સુચારુ રૂપે કર્યું હતું, જ્યારે આભારવિધિ પાટણ જિલ્લાના સહયોગી પ્રતિનિધિ સંજય ચૌધરી દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 2:50 pm

ભરૂચમાં AQI 500 દર્શાવતાં લોકોમાં ખળભળાટ મચી ગયો:તપાસમાં ટેક્નિકલ ખામીને કારણે ખોટા આંકડા દેખાયાનું સામે આવ્યું, શહેરનો હાલ AQI 135ની આસપાસ

ભરૂચ કલેક્ટર કચેરી બહાર લગાવવામાં આવેલા એર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ડિસ્પ્લે બોર્ડે અચાનક 500 AQI દર્શાવતાં શહેરમાં ક્ષણિક ખળભળાટ મચી ગયો હતો. જોકે, પાછળથી જાણવા મળ્યું કે આ ટેક્નિકલ ખામીને કારણે ખોટા આંકડા દેખાયા હતા. સામાન્ય રીતે ભરૂચનો AQI 135થી 150ની આસપાસ રહે છે. પરંતુ, બોર્ડ પર અનેક ગણો વધુ ઝેરી સ્તર દર્શાવતા સ્થાનિકોમાં ભય અને આશંકા ફેલાઈ હતી. AQI 500નો સ્તર અત્યંત જીવલેણ ગણાય છે, જેમાં નાગરિકોને ઘર બહાર ઓછું નીકળવું અને આઉટડોર પ્રવૃત્તિઓ ટાળવાની સલાહ અપાય છે. નગરપાલિકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ને જાણ થતાં તાત્કાલિક તપાસ હાથ ધરાઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, ડિસ્પ્લે યુનિટમાં ટેક્નિકલ ખામી સર્જાતા ખોટા આંકડા દેખાઈ રહ્યા હતા. તંત્રએ AQI બોર્ડ સ્થાપનાર ખાનગી એજન્સીને તાત્કાલિક સમારકામ કરવાની સૂચના આપી છે. હાલમાં ભરૂચનો હકીકતી AQI 135ની આસપાસ જ નોંધાઈ રહ્યો છે. આ ઘટનાને લઈને આગેવાનો દ્વારા તંત્ર પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે, ગુણવત્તા ચકાસ્યા વગર જ ડિસ્પ્લે બોર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સામાજિક કાર્યકર ધવલ કનોજીયાએ GPCB સહિતના અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો હતો. AQI સ્તર હવાના પ્રદૂષણની ગુણવત્તા દર્શાવે છે. 0-50 'સારી' હવા સૂચવે છે, જ્યારે 51-100 'મધ્યમ' ગણાય છે. 101-200 'ખરાબ', 201-300 'ખૂબ ખરાબ', 301-400 'ગંભીર' અને 401-500 'અત્યંત ઝેરી' હવા દર્શાવે છે, જે ગંભીર આરોગ્ય જોખમ ઊભું કરે છે. AQI બોર્ડ હવામાંથી નાના કણોનો નમૂનો ખેંચી સેન્સર દ્વારા માપે છે. આ ડેટાને કમ્પ્યુટર મોડ્યુલ વાંચીને રીઅલ-ટાઇમ AQI મૂલ્ય ડિસ્પ્લે બોર્ડ પર બતાવે છે. આ ડેટા નેટવર્ક દ્વારા GPCB/પોલ્યુશન બોર્ડના સર્વર સુધી પણ મોકલાય છે. ક્યારેક ટેક્નિકલ ખામી, નેટવર્ક ઇશ્યૂ અથવા સેન્સર બ્લોક થવાથી ખોટા આંકડા પણ દેખાઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 2:47 pm

પાટણ LCBએ વાહનોના કાચ તોડતી ગેંગના 2 સભ્યોને ઝડપ્યા:વિકૃત આનંદ માટે ST બસ અને ખાનગી વાહનોને નિશાન બનાવી કાચ તોડતા હતા

પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ.ટી. બસો અને ખાનગી વાહનોના કાચ તોડીને ભય ફેલાવતી ગેંગના બે સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ઈસમો માત્ર વિકૃત આનંદ મેળવવા માટે વાહનોને નુકસાન પહોંચાડી રહ્યા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોટરસાયકલ અને બે મોબાઈલ મળી કુલ ₹30,000/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે ગેંગનો એક સભ્ય હજુ ફરાર છે. આ ઘટનાઓ પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ.ટી. બસ અને અન્ય વાહનોના કાચ તોડીને જાહેર જનતામાં ભય ફેલાવવાના મામલાઓ સામે આવ્યા બાદ પાટણ LCBએ કાર્યવાહી કરી હતી. ગત તારીખ 18/11/2025 ના રોજ રાત્રિના સમયે પાટણથી શિહોરી હાઈવે રોડ પર આવેલા મોટા નાયતા ગામ નજીક અજાણ્યા ઈસમોએ બાઈક પર આવીને શામળાજીથી દિયોદર રૂટની ST બસ પર પથ્થરમારો કર્યો હતો અને તેના કાચ તોડીને ₹15,000/- નું નુકસાન પહોંચાડ્યું હતું. આ જ રીતે, અન્ય બે ST બસો અને ખાનગી માલિકીના એક ટર્બોના પણ કાચ તોડીને નુકસાન કરવામાં આવ્યું હતું. આ અંગે સરસ્વતી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પ્રજામાં ભયનો માહોલ ઊભો કરનાર આ વણશોધાયેલ ગુનાને ગંભીરતાથી લઈ પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક, પાટણ વી.કે. નાયી દ્વારા LCB પાટણને આ ગુનો શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી. LCB પાટણની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી તપાસ હાથ ધરી હતી. આ તપાસના અંતે, આ અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ આરોપીઓમાં પ્રજાપતિ ધવલ જયંતિભાઈ (રહે. કીમ્બુવા ગામ, પ્રજાપતિવાસ, તા. સરસ્વતી, જિ. પાટણ) અને ઠાકોર રણજીતજી રમેશજી (રહે. અઘાર ગામ, માઢપાટી, હાલ રહે. પાટણ શિહોરી ત્રણ રસ્તા ખાતે અમથાભાના પેટ્રોલ પંપની સામે, તા. જિ. પાટણ) નો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગુનો કરવાનો મુખ્ય હેતુ માત્ર ગાડીઓના કાચ તોડીને 'વિકૃત આનંદ' મેળવવાનો હતો. આ ગેંગનો એક સભ્ય ઝાલા રાકેશજી ઉર્ફે રોકી ભરતજી (રહે. પાટણ શ્રમજીવી છાપરા, તા. જિ. પાટણ) હજી પણ પકડવાનો બાકી છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી મોટરસાયકલ (કિંમત ₹20,000/-) અને બે મોબાઈલ (કિંમત ₹10,000/-) મળી કુલ ₹30,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા બંને આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સરસ્વતી પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 2:39 pm

76 વર્ષીય મહિલા પાસેથી સોનાની બંગડી લઈને તસ્કર ફરાર:માતાજીના ભુવા હોવાનું જણાવી વાતોમાં ફસાવ્યા, ફરિયાદ નોંધાઈ

અમદાવાદમાં મહિલાઓને એડ્રેસ પૂછવાના બહાને ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે, ત્યારે વેજલપુરમાં ખોડીયાર માતાજીના 'ભૂવા' હોવાનો ઢોંગ કરીને આવેલા બે અજાણ્યા શખ્સોએ 76 વર્ષીય વૃદ્ધાને વાતોમાં નાખી તેમની પાસેની આશરે રુપિયા 1 લાખની કિંમતની સોનાની બંગડીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે વૃદ્ધાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 76 વર્ષીય મહિલા પાસેથી સોનાની બંગડી લઈને તસ્કર ફરારવેજલપુરમાં રહેતા 76 વર્ષીય ચંદ્રીકાબેન મકાણી ઘરેથી મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. ચંદ્રીકાબેન આર.આર. દ્વિવેદી સ્કૂલ પાસે પહોંચ્યા ત્યારે એક ટુ-વ્હીલર પર સવાર બે અજાણ્યા ઇસમોએ તેમને રોક્યા હતા. બંને શખ્સોએ ચંદ્રીકાબેનને ખોડીયાર માતાના મંદિરનું સરનામું પૂછ્યું હતું. જ્યારે ચંદ્રીકાબેને જણાવ્યું કે, અહીં કોઈ મંદિર નથી, ત્યારે ટુ-વ્હીલરના ચાલક શખ્સે તરત જ પોતાને ખોડીયાર માતાજી અને કાળકા માતાજીનો 'ભૂવો' હોવાનો દાવો કર્યો. માતાજીના ભુવા હોવાનું જણાવી વાતોમાં ફસાવ્યાવિશ્વાસ કેળવવા માટે પહેલા ચંદ્રીકાબેન પાસેથી એક રૂપિયો માંગ્યો, જે તેમને આપ્યો. ત્યારબાદ આ શખ્સે વૃદ્ધાને સો રૂપિયા પણ પાછા આપ્યા. પૈસાની આ આપ-લે બાદ બંને શખ્સોએ વૃદ્ધાને મીઠી વાતોમાં રાખી દીધા.વાતચીતમાં મગ્ન રહેલા ચંદ્રીકાબેન કંઈ પણ સમજી શકે તે પહેલાં, બંને શખ્સોએ તેમને છેતરીને હાથની સોનાની બંગડી ઉતારીને આપી દેવાનું કહ્યું. અજાણ્યા શખ્સોની વાતોમાં આવી જઈને ચંદ્રીકાબેને પોતાની એક સોનાની બંગડી ઉતારીને તેમને આપી દીધી હતી. બંગડી લઈને અજાણ્યા ઇસમો ત્યાંથી નાસી ગયા હતા. આ અંગે વેજલપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Nov 2025 2:36 pm