કમલાબાગ પોલીસ વાનમાં આગ લાગી:ફાયર વિભાગની સમયસર કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી, કોઈ જાનહાનિ નહીં
પોરબંદરના નરસંગ ટેકરી નજીક કમલાબાગ પોલીસ સ્ટેશનની એક વાનમાં આજે અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે ઝડપી કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસ અને ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે મોટો અનિષ્ટ ટળી ગયો હતો. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગનું પ્રાથમિક કારણ ટેકનિકલ ખામી હોવાનું મનાઈ રહ્યું છે. આગના ચોક્કસ કારણની તપાસ શરૂ કરવામાં આવી છે.
રાજકોટમાં પ્રજાના પ્રશ્નોને લઈને જન પ્રતિનિધિઓની કલેકટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં ધારાસભ્ય અને સાંસદોએ રાજકોટથી જેતપુર હાઇવે અને અમદાવાદ હાઈવે પરના રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ કરવા તો ભાવનગર હાઇવે પરના રસ્તાનો સમારકામ કરાવવા માટે માંગ ઉઠાવી હતી. જ્યારે માધાપર રોડ સર્વિસ રોડ તેમજ નવી RTO કચેરી 2 વર્ષથી તૈયાર છે પરંતુ અગાઉ ફર્નિચર કામ અને હવે ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ નંખાવવાના બાકી હોવાના નામે ભારે વિલંબ થઈ રહ્યો છે, ત્યારે નવીનકોર કચેરી જર્જરિત બનવા જઈ રહી છે ત્યારે તેનું તાત્કાલિક ધોરણે લોકાર્પણ કરવા જણાવવામાં આવ્યુ હતું તો આફ્રિકા જવા માંગતા વેપારીઓ અને ઉદ્યોગકારોને અઠવાડિયામાં એક વખત જ અપાતી યેલો ફીવર વેક્સિન અઠવાડિયામાં બે દિવસ આપવાની રજૂઆતને સફળતા મળી હતી. ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીમાં યોજાઈરાજકોટ જિલ્લાની નવેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. જેમાં યલો ફીવરની રસી ઉપલબ્ધ કરાવવા,શહેરમાં અશાંતધારાની મુદત વધારવા, લોકમેળાનું નવું સ્થાન નક્કી કરવા, જર્જરિત અને વણવપરાયેલી મિલકતોનો સર્વે કરવા, નવી આર.ટી.ઓ. કચેરીના બાંધકામની સ્થિતિ , માધાપર રોડ ઉપર સર્વિસ રોડની કામગીરીની પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. પ્રજાના પ્રતિનિધિઓએ પ્રશ્નો રજૂ કર્યાઆ ઉપરાંત રાજકોટ-ભાવનગર રોડના સમારકામની સ્થિતિ, પરશુરામ મંદિર પાસે વન કવચ બનાવવા, રાજકોટ-જેતપુર હાઇવે પર બ્રિજ બનાવવાની કામગીરી ઝડપી બનાવવા, મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) વગેરે અંગે પ્રજાના પ્રતિનિધિઓએ પ્રશ્નો રજૂ કર્યા હતા. જે અંગે ઝડપી કાર્યવાહી નિયત સમયમાં કરવા કલેક્ટરે ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી. યેલો ફીવર વેક્સિન દર બુધવારે અને ગુરુવારે અપાશેઆફ્રિકાના દેશોમાં જત ઉદ્યોગકારો અને વેપારીઓને યેલો ફીવર વેક્સિન લેવી ફરજિયાત હોય છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આ રસી અઠવાડિયામાં એક જ વખત માત્ર બુધવારે આપવામાં આવતી હતી. જોકે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને રાજ્યસભા સાંસદ રામ મોકરિયાની રજૂઆતના પગલે આ વેક્સિન સિવિલ હોસ્પિટલમાં હવે દર બુધવારે અને ગુરુવારે આપવાનું શરૂ કરી દેવાયું છે. અંગેની માહિતી પણ આજની સંકલનની બેઠકમાં મેળવવામાં આવી હતી.
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગના ઠરાવ મુજબ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ અને ધારાસભ્યોની ગ્રાન્ટ તેમજ આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો યોજનામાં હાથ ધરાતાં વિકાસ કાર્યોને વધુ પારદર્શક, ઝડપી અને અસરકારક બનાવવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. તમામ જિલ્લાઓ, તાલુકાઓ અને વિભાગોને માર્ગદર્શિકા મોકલાઈ
પંચમહાલ જિલ્લા કલેકટર અજય દહિયાએ મતદારયાદી સુધારણાના ખાસ સઘન કાર્યક્રમ (SIR) ની પ્રગતિની સમીક્ષા કરવા માટે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તમામ ઈલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસરો (ERO's) અને આસિસ્ટન્ટ ઈલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસરો (AERO's) ઉપસ્થિત રહ્યા હતા. કલેકટરે વિધાનસભા બેઠકવાર થયેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે મતદારયાદી સુધારણાની પ્રક્રિયા સમયસર અને ભૂલરહિત પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. બેઠક દરમિયાન, કલેકટરે અધિકારીઓને મતદારયાદીમાં નવા નામો ઉમેરવા, સુધારા કરવા અને ડુપ્લિકેશન દૂર કરવા જેવી તમામ પડતર અરજીઓ અને બાકી કામગીરીને સત્વરે અને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. આ SIR કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના તમામ લાયક નાગરિકોના નામ મતદારયાદીમાં સમાવિષ્ટ થાય અને યાદી સંપૂર્ણપણે શુદ્ધ તથા અદ્યતન બને તે સુનિશ્ચિત કરવાનો છે. કલેકટરે ERO's અને AERO'sને તેમના કાર્યક્ષેત્રમાં વ્યક્તિગત ધ્યાન આપીને અરજીઓનો ઝડપથી નિકાલ કરવા અને ફિલ્ડ કામગીરીનું નિયમિત મોનીટરીંગ કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં પ્રોબેશનર આઇએએસ કુ. અંજલી ઠાકુર, નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી ઈ. સુસ્મિતા, નાયબ ચૂંટણી અધિકારી, પ્રાંત અધિકારી નિરિલ મોદી, પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિતના તમામ ERO અને AERO હાજર રહ્યા હતા. આ ઉપરાંત, પંચમહાલ જિલ્લામાં પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના (PMDDKY) અંતર્ગત એક્શન પ્લાન તૈયાર કરવા માટે જિલ્લા કલેકટર અજય દહિયાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની સમિતિની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેકટરે કૃષિ ઉત્પાદકતામાં વધારો કરવા, પાકની વિવિધતા (Crop Diversification) અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ (Sustainable Agriculture Practices) અપનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે પંચાયત અને બ્લોક સ્તરે પાક સંગ્રહ (Crop Storage) સુવિધાઓમાં વૃદ્ધિ કરવા અને સિંચાઈની સુવિધાઓને વધુ સુધારવા માટે સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી, જરૂરી સૂચનો અને ઇનપુટ્સ મેળવ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ PMDDKY યોજનાના લક્ષ્યોને અસરકારક રીતે હાંસલ કરવા માટે સમયબદ્ધ અને નક્કર વ્યૂહરચના ઘડવાનો હતો. બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ બાગાયત નિયામક, નાયબ પશુપાલન નિયામક સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા લાલબજારના વાલ્મીકીવાસ અને પખાલીવાડમાં ગંભીર ગંદકી અને અપૂરતી સુવિધાઓને કારણે 250થી વધુ ઘરો પ્રભાવિત થયા છે. અહીંના રહેવાસીઓ ગટરના પાણી અને કચરાના ઢગલાં વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. વોર્ડ નંબર-10ના આ વિસ્તારોમાં લાંબા સમયથી સફાઈ ન થવાને કારણે કચરાના ત્રણ માળ જેટલા ઊંચા ઢગલાં જમા થયા છે. મુખ્ય માર્ગથી માત્ર 100 મીટર દૂર હોવા છતાં, અહીં ગટર વ્યવસ્થાનો અભાવ છે અને નગરપાલિકા દ્વારા કોઈ દેખરેખ રાખવામાં આવતી નથી. સ્થાનિક રહેવાસીઓએ સાંસદ, ધારાસભ્ય અને પાલિકા સત્તાધીશોને અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. રહીશોનો આક્ષેપ છે કે તેમના વોર્ડ માટે દર વર્ષે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ તેનો લાભ તેમને મળતો નથી. ઘરોની નજીકથી પસાર થતી મળમૂત્રની પાઈપો ખુલ્લી હોવાથી ગંદકી સીધી વાલ્મીકીવાસમાં વહી આવે છે. એક જ દાદર પરથી પસાર થવાનો રસ્તો પણ પાણીથી ભરેલો રહે છે, જેના કારણે વૃદ્ધો અને બાળકો માટે અવરજવર જોખમી બની છે. આ વિસ્તારના રહેવાસી રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે, વર્ષો જૂના ટેકરામાં ચોમાસામાં પાણી ભરાઈ જવાથી મકાનો બેસી જવાનો ભય છે. અન્ય વિસ્તારોના મળમૂત્રની પાઈપો અહીં છોડવામાં આવતા ગંદકી ઘરો સુધી પહોંચે છે. ટેકરો ધસી પડે તો ઘરો દટાઈ જવાની સ્થિતિ છે, છતાં કોઈ જોવા આવ્યું નથી. અન્ય સ્થાનિક રહીશ અશોકભાઈએ જણાવ્યું કે, ખાડી વિસ્તારમાં કામ અધૂરું છે અને રેલિંગ વગરના પગથિયાંથી લોકો લપસી પડે છે. અધૂરા કામ માટે ગ્રાન્ટ ખર્ચાઈ ગઈ હોવા છતાં પરિસ્થિતિ સુધરી નથી. લોકો 15-20 હજાર સુધીનો સારવાર ખર્ચ ઉઠાવી રહ્યા છે. સ્થાનિકોની માગ છે કે તાત્કાલિક ગટર સફાઈ, કચરાના ઢગલાં દૂર કરી નિયમિત સફાઈ, ટેકરાનું સમારકામ, સુરક્ષિત રેલિંગ, મળમૂત્રની પાઈપોના ખોટા જોડાણો દૂર કરવા અને વોર્ડ માટે ફાળવેલી ગ્રાન્ટનો પારદર્શક ઉપયોગ કરવામાં આવે. નગરપાલિકા દ્વારા સમસ્યાનો નિકાલ નહીં આવે તો સ્ત્રીમંડળ દ્વારા ઉગ્ર આંદોલનની ચેતવણી આપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિને 'જનજાતીય ગૌરવ વર્ષ' તરીકે ઉજવવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે, નવસારી જિલ્લાના વાંસદા અને ચીખલી ખાતે રાજ્યકક્ષાના મંત્રીઓની અધ્યક્ષતામાં 'જનજાતીય ગૌરવ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. નવસારી જિલ્લાના વાંસદા ખાતેના ગાંધી મેદાનમાં નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી અને આબકારી વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને 'જનજાતીય ગૌરવ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજના પ્રેરણાસ્રોત અને આદર્શ વ્યક્તિત્વ છે. તેમણે ધર્મ, સંસ્કૃતિ અને આદિવાસી ઓળખ જાળવી રાખવા માટે અવિરત પ્રયત્નો કર્યા હતા. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, બિરસા મુંડાએ અંગ્રેજ સરકારની દમન નીતિઓ સામે લડત આપી હતી અને સમાજને એક કરવાનું કામ કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, દેશની સ્વતંત્રતા માટે આદિવાસી બાંધવોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા, જે તેમનું બલિદાન આજની પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી સમાજના વીર નાયકોના સ્વાતંત્ર્ય ઇતિહાસને દુનિયા સમક્ષ મૂકવાનું કામ કર્યું છે. મંત્રીએ વિકસિત ભારતના નિર્માણ માટે બિરસા મુંડાની 'દેશ પ્રથમ'ની ભાવના સાથે સૌને નિષ્ઠાપૂર્વક કામ કરવા અને એકતા દર્શાવવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં વલસાડના સાંસદ તથા લોકસભાના દંડક ધવલ પટેલે પણ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૨૧માં બિરસા મુંડાના જન્મદિવસ, ૧૫મી નવેમ્બરને 'જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આઝાદી પછી આટલા વર્ષો બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ આદિવાસી યુવાનોની સંઘર્ષ ગાથાને ઇતિહાસના પાનાઓ પરથી દુનિયા સમક્ષ મૂકી છે. કાર્યક્રમની ઝલક ચીખલી ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ભવ્ય ઉજવણીનવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સમરોલી ગામના ગ્રાઉન્ડ ખાતે ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. મંત્રી કનુભાઈ દેસાઈનું પ્રવચન* નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી કાળથી જ આદિજાતિ વિસ્તારોના પ્રશ્નોથી વાકેફ છે, જેના કારણે આદિવાસીઓનું હિત વડાપ્રધાનના હૈયે વસ્યું છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાને પદભાર સંભાળ્યા બાદ આદિવાસી સમાજના ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ ઘડી છે. મંત્રીએ વર્તમાન સરકાર દ્વારા આદિજાતિ સમુદાય માટે રજૂ કરાયેલ બજેટ, બિરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સીટી, વનબંધુ કલ્યાણ યોજના, વન અધિકાર અધિનિયમ, પીએમ-જનમન આવાસ, અને ધરતી આબા જનજાતિ ઉત્કર્ષ અભિયાન સહિતની કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે નવસારી જિલ્લાના આદિવાસી ભાઈ-બહેનો વિકાસની અગ્ર હરોળમાં રહે તેવી આશા વ્યક્ત કરી હતી. રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું કે, આદિવાસી સમાજ જેને ભગવાન માને છે તેવા બિરસા મુંડાના જીવન સંઘર્ષ ઉપરથી આપણે સૌએ પ્રેરણા લેવી જોઈએ. આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ, કલાકારો, રમતવીરો અને વિવિધ યોજનાના લાભાર્થીઓને મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે લાભો અને સન્માન પત્રો વિતરણ કરાયા હતા. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાથી રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિતિ સૌએ નિહાળ્યું હતું. તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક નૃત્ય મંડળીઓ દ્વારા સાંસ્કૃતિક વંદના, તૂર નૃત્ય, આદિજાતીય પરંપરાગત નૃત્યો અને બિરસા મુંડાના જીવન સંઘર્ષ પર આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા.
જુનાગઢ જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીઓ અને જુનાગઢ જિલ્લાના સાંસદ, તમામ ધારાસભ્યો સાથે મનસુખ માંડવીયાએ એક બેઠક યોજી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને સાંસદ રાજેશ ચુડાસમાની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનિટરિંગ કમિટી 'દિશા' ની બેઠક જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી અને સાંસદે સંલગ્ન તમામ વિભાગના અધિકારીઓ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં અમલીકૃત વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. વિકાસલક્ષી કામોની વિગતવાર ચર્ચાબેઠકમાં જિલ્લાના વિકાસલક્ષી પ્રશ્નો અને સરકારની વિવિધ યોજનાઓના અમલ પર ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓ પાસેથી ફાળવેલા લક્ષ્યાંક, ભૌતિક સિદ્ધિઓ, પૂર્ણ થયેલા કામો, પ્રગતિ હેઠળના કામો અને પૂર્ણ ન થયેલા કામો અંગે વિસ્તૃત માહિતી લેવામાં આવી હતી.ખાસ કરીને નેશનલ હાઈ-વે ઓથોરિટી હેઠળના માર્ગોની મરામત, સોઈલ હેલ્થ કાર્ડ, મનરેગાના કામો, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ અને શહેરી), સ્વામિત્વ યોજના સહિતની મુખ્ય યોજનાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. દરેક કામ સમય મર્યાદામાં અને ઉત્તમ ગુણવત્તા સાથે પૂર્ણ થવા જરૂરી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ અધિકારીઓને સખ્ત તાકીદ કરતાં જણાવ્યું હતું કે, દરેક કામ સમય મર્યાદામાં અને ઉત્તમ ગુણવત્તા સાથે પૂર્ણ થવા જરૂરી છે. તેમણે અધિકારીઓને વિવેકાધીન અધિકારનો ઉપયોગ કરીને વિવેકપૂર્ણ નિર્ણય લેવા અંગે પણ ભાર મૂક્યો હતો, જેથી નાગરિકોની સુખાકારીમાં વધારો થઈ શકે. નાગરિકોની સમસ્યાઓ અંગે તુરંત કામ કરવા સૂચન અપાયુંસાંસદ રાજેશ ચુડાસમાએ પણ અધિકારીઓને જરૂરી સૂચનો આપતા જણાવ્યું હતું કે, નાગરિકોની વિવિધ સમસ્યાઓ અંગે જનપ્રતિનિધિઓ દ્વારા જે રજૂઆતો કરવામાં આવે છે, તેનું સત્વરે અને હકારાત્મક નિરાકરણ આવે તે દિશામાં કામ કરવું. બેઠકમાં તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર હતાઆ મહત્વપૂર્ણ બેઠકમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ધારાસભ્ય અરવિંદ લાડાણી, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જૂનાગઢ પોલીસ વડા સુબોધ ઓડેદરા સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ શહેરમાં આગામી શ્રીમદ્ ભાગવદ્ ગૌ કથાના આમંત્રણ અર્થે વિશાળ બાઈક રેલી અને ગૌમાતા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહેનો અને ભાઈઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રેલીને પાટણની એમ. એન. હાઈસ્કૂલ ખાતેથી બ્રહ્મચારી મુકુંદ પ્રકાશ મહારાજે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. રેલીમાં મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓએ પોતાના એક્ટિવા અને બાઈક પર સવાર થઈને ભાગ લીધો હતો. રેલી પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી વળી હતી. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના લોકોને ગૌ કથા માટે આમંત્રણ પાઠવવાનો હતો. રેલી દરમિયાન સમગ્ર પાટણ શહેરમાં ધાર્મિક વાતાવરણ છવાઈ ગયું હતું અને મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર તેનું સ્વાગત કર્યું હતું.
તાપી જિલ્લાના વ્યારા ખાતે જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર અને વ્યારાના ધારાસભ્ય મોહન કોકની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જનનાયક ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ ઉજવણીના ભાગરૂપે છેલ્લા પખવાડિયાથી વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, જેનો એક ભાગ વ્યારાનો આ કાર્યક્રમ હતો. આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા લોકો અને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આદિવાસી કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી, જેથી આદિવાસી સમાજ અન્ય સમાજોની હરોળમાં આગળ વધી શકે. કાર્યક્રમ દરમિયાન આદિવાસી લોકનૃત્ય અને ઢોલ-નગારાના તાલે સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. ભગવાન બિરસા મુંડાના જીવન સંઘર્ષને દર્શાવતી એક શોર્ટ ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું, જે દ્વારા લોકોને તેમના જીવન અને કાર્યો વિશે જાણકારી આપવામાં આવી. દર વર્ષે બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે, અને આ વર્ષે પણ તાપી જિલ્લામાં મંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય અને રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા. વિવિધ ક્ષેત્રે સારી કામગીરી કરનાર વ્યક્તિઓનું મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેણે ઉત્સવને સફળ બનાવ્યો હતો.
ઓખામાં યુવાને પેટ્રોલ છાંટી પત્નીને બાથ ભીડી:બચાવવા જતા સાસુ પણ દાઝ્યા, પોલીસ તપાસ શરૂ
ઓખામાં કોર્ટ મેરેજ કરનાર એક યુવાન અને યુવતી વચ્ચે સંબંધોમાં તણાવ આવી ગયો હતો. રિસાઈને પત્નીના માતાના ઘરે રહેતી હતી. જેથી યુવક ત્યાં આવીને પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી લેતા ચકચાર મચી જવા પામી છે. આ યુવાને બાદમાં પોતાની પત્નીને પણ બાથમાં લેતા દંપતી ગંભીર રીતે દાઝી ગયું હતું, જ્યારે તેમને બચાવવા ગયેલા યુવાનના સાસુ પણ દાઝી જતાં ત્રણેયને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે. કોર્ટ મેરેજના ત્રણ મહિનામાં જ પત્ની સાથે યુવકના આત્મઘાતી પગલાથી ચકચાર મચી ગઈ છે. આખો બનાવ શું છે?પોલીસ દફતરે જાહેર થયેલી વિગતો મુજબ, ઓખામાં મારુતિ નગર પાછળના રામદેવપીરના મંદિર પાસે રહેતા મીનાબેન ચૌહાણ (ઉં.વ. 45)ની પુત્રી ઉર્મિલાબેન (ઉં.વ. 23)એ આશરે ત્રણ માસ પૂર્વે ઓખા, કાર્બન સોસાયટી ખાતે રહેતા જય સુરેશ બારીયા નામના યુવાન સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. થોડા દિવસો સાથે રહ્યા બાદ ઉર્મિલાબેન અને જયને લગ્નજીવન ચલાવવું ન હોવાથી ઉર્મિલાબેન છેલ્લા દસેક દિવસથી પોતાના માતા મીનાબેનના ઘરે પરત રહેવા આવી ગયા હતા. પેટ્રોલ છાંટી પત્નીને બાથ ભીડી લીધીઆ દરમિયાન, મંગળવાર, તા. 11ના રોજ ઉર્મિલાબેનના પતિ જય એકાએક પેટ્રોલના કેન સાથે તેમના સાસુ મીનાબેનના ઘરે આવ્યો હતો. જયએ સૌ પ્રથમ પોતાના શરીર પર પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી આગ લગાડી દીધી હતી. આગ લાગ્યા બાદ તેણે પોતાના પત્ની ઉર્મિલાબેનને પણ બાથમાં લઈ લીધી હતી, જેના કારણે બંને ભડભડ સળગવા લાગ્યાં હતાં. માતા દીકરીને બચાવવા દોડી ગઈપતિએ પેટ્રોલ છાંટીને દિવાસળી ચાંપી લીધી હતી બાદમાં પત્નીને તેણે બાથમાં ભીડી હતી. આ કરૂણ દ્રશ્ય જોઈને ઉર્મિલાબેનના માતા મીનાબેને તેમને છોડાવવાનો પ્રયત્ન કરતા તેઓ પણ દાઝી ગયા હતા. આ બનાવમાં ઘરમાં રહેલો કેટલોક સામાન પણ બળીને ખાક થતાં નુકસાની થવા પામી હતી. સારવાર માટે જામનગર ખસેડાયા આ ગંભીર આગજનીના બનાવમાં દંપતી (જય અને ઉર્મિલા) તેમજ ઉર્મિલાના માતા મીનાબેન દાઝી ગયાં હતાં. ત્રણેયને દાઝેલી હાલતમાં તાત્કાલિક વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ, ઉર્મિલાબેનએ અગાઉ અન્ય એક યુવાન સાથે લગ્ન કર્યા હતા અને તેમને તે લગ્નજીવન થકી એક બાળક પણ છે. યુવકની સાસુએ પોલીસ ફરિયાદ નોંધાવીઆ સમગ્ર બનાવ અંગે મીનાબેન ચૌહાણની ફરિયાદના આધારે ઓખા મરીન પોલીસે પતિ જય બારીયા સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. આર.આર. ઝરૂ દ્વારા આ બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ચકચારી પ્રકરણે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે.
વડોદરા સેન્ટ્રલ જેલમાંથી યાર્ડ નંબર 2માં આવેલ બેરેક નંબર-4ના શૌચાલયમાં કોઈ કેદી પ્લાસ્ટિકમાં લપેટીને સંતાડી રાખેલા મોબાઇલને ઝડતી સ્કવોર્ડની ટીમે શોધી કાઢ્યો હતો. જેથી, આ મોબાઈલનો કોણ ઉપયોગ કરતુ હતું તેની તપાસ શરૂ કરાઈ છે. આ મામલે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વડોદરા મધ્યસ્થ જેલમાં ચકાસણી શરૂ કરાઇઅમદાવાદના પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટી કચેરીની ઝડતી સ્કવોર્ડના જેલર દેવસભાઈ રમણભાઇ કરંગીયા 14 નવેમ્બરના રોજ તેમની સાથેના રેડ કરનાર અરજણસિહ ઉદેસિંહ રાઠોડ, સુબેદાર વિક્રમસિંહ રમણજી ઠાકોર, હવાલાર દર્શનભાઈ લક્ષ્મણભાઈ જોગરાણા, હવાલદાર મહેશભાઈ છબીલભાઈ જાંબુકિયા, હવાલદાર મલેશભાઈ લખમણભાઈ ગરૈયા, હવાલદાર મુકેશભાઈ ભાનાભાઈ ચૌધરી તથા સિપાઈ અતુલભાઇ ગુણવંતભાઈ ભેડા વડોદરા મધ્યસ્થ જેલમાં સ્થાનિક ઝડતી સ્કવોર્ડ સહિતના સ્ટાફને સાથે રાખ્યાં હતા અને ત્યારબાદ વડોદરા મધ્યસ્થ જેલમાં ચકાસણી શરૂ કરાઇ હતી. પ્લાસ્ટિકમાં વિટાળી છુપાવી રાખેલો એક મોબાઈલ મળ્યોતે દરમિયાન સર્કલ વિભાગ યાર્ડ નં-2ની બેરેક નં-4ની પાછળ આવેલા જનરલ ટોયલેટના ઉભા પોખરામાં પ્લાસ્ટિકમાં વિટાળી છુપાવી રાખેલો એક મોબાઈલ મુકેશભાઈ ભાનાભાઈ ચૌધરીએ બિનવારસી પડેલો શોધી કાઢ્યો હતો. જેથી આ મોબાઇલ કોણ અહીંયા લાવી સંતાડ્યો હતો અને કોના દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવતો હતો તેની તપાસ શરૂ કરાઇ છે.
ભાટસણ શાળામાં કલા ઉત્સવનું આયોજન:વિકસિત ગુજરાત 2047 થીમ અંતર્ગત વિદ્યાર્થીઓએ ભાગ લીધો
સરસ્વતી તાલુકાની ભાટસણ પગાર કેન્દ્ર શાળામાં 'વિકસિત ગુજરાત 2047' થીમ અંતર્ગત કલા ઉત્સવનું આયોજન કરાયું હતું. આચાર્ય શૈલેષભાઈ સુથારના માર્ગદર્શન હેઠળ ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ અઘાર પરા શાળાના શિક્ષક અને ગઝલકાર કલ્પેશભાઈ ચાવડાની અધ્યક્ષતામાં યોજાયો હતો. વાગડોદ કુમાર શાળાના સંગીત વિશારદ સુરેશભાઈ સોલંકી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મુના શાળાના દિલીપજી ઠાકોર (ATD) અને સ્થાનિક ગાયક કલાકાર અર્જુનજી ઠાકોર અતિથિ વિશેષ તરીકે હાજર રહી બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી થયો હતો. મહેમાનોનું પુષ્પગુચ્છ અને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું. સંગીત વાદન, સંગીત ગાયન, બાળ કવિ અને ચિત્ર જેવી વિવિધ સ્પર્ધાઓમાં આશરે ત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરાયા હતા. આ કલા ઉત્સવમાં નિષ્ણાતોની ઉપસ્થિતિથી બાળકોને સીધું માર્ગદર્શન મળ્યું હતું. શાળાના શિક્ષકો ધનેશભાઈ પરમાર અને ઉષાબેન પટેલે ગીત રજૂ કર્યું હતું. ભાષા શિક્ષકો પ્રીતિબેન પટેલ અને હિનાબેન પટેલ સહિત ધોરણ ૧ થી ૮ના તમામ સ્ટાફ પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના શિક્ષક નિલેશ શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું. સી.આર.સી. કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ ક્રમાંક વિજેતાઓમાં ગીત સ્પર્ધામાં કશિશ નાયક, વાદન સ્પર્ધામાં અનિતા ઠાકોર, બાળ કવિ સ્પર્ધામાં આર્મી દેસાઈ અને ચિત્ર સ્પર્ધામાં હિતાક્ષી પ્રજાપતિ તથા સેજલ રાવળનો સમાવેશ થાય છે. શાળા પરિવાર અને નિર્ણાયકો દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ગાંધીનગરમાં સાબરમતી નદી કિનારાના ગામોમાં જંગલી પ્રાણીઓ દેખાવાનો સિલસિલો વધતાં ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છે. ચારેક દિવસ અગાઉ લેકાવાડા ગામમાં દીપડો દેખાયાની વાત અફવા સાબિત થઈ હતી, પરંતુ ગઈકાલે સવારે નદી કિનારાના પાલજ ગામના એક ફાર્મ હાઉસના તબેલામાં કોઈ જંગલી જાનવરે ખેતરમાં બાંધેલી ભેંસની બે પાડીઓને ફાડી ખાધી હોવાની ઘટના સામે આવતાં વનવિભાગની ઊંઘ હરામ થઈ ગઈ છે. ગઈકાલથી જ વન વિભાગની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરી પાંજરા મૂકીને બે પાડીનો શિકાર કરનાર દીપડો નહીં પણ 'શ્વાનકુળ'ના પ્રાણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જંગલી જનાવરના હુમલા બાદ વન વિભાગના ઘટનાસ્થળે ધામાગાંધીનગરના પાલજ ગામના ફાર્મ હાઉસના તબેલામાં કોઈ જંગલી જાનવરે ખેતરમાં બાંધેલી ભેંસની બે પાડીઓને ફાડી ખાધી હોવાની ઘટના પ્રકાશમાં આવતાં વન વિભાગ હરકતમાં આવી ગયું છે. ગઈકાલથી જ ગાંધીનગરની ઉર્જા રેન્જના અધિકારીઓ અને વનકર્મીઓ ઘટનાસ્થળે ધામા નાખ્યા હતા. તેમણે ખેતર અને આસપાસના વિસ્તારમાં જંગલી પ્રાણીના પગમાર્ક શોધી કાઢ્યા હતા. જેની ચોક્કસાઈ માટે વનવિભાગે વાઇલ્ડલાઇફ એક્સપર્ટને તપાસ માટે બોલાવ્યા હતા. એક્સપર્ટના મતે દીપડો નહીં પણ શ્વાનકુળના પ્રાણી હોવાની આશંકાએક્સપર્ટ દ્વારા પગમાર્ક અને શિકાર કરાયેલી પાડીઓની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનો દીપડાની શંકા વ્યક્ત કરી રહ્યા હતા, પરંતુ એક્સપર્ટે મત વ્યક્ત કર્યો છે કે આ પગમાર્ક દીપડા કે અન્ય બિલાડીકુળના પ્રાણીના નથી. કેમ કે, પગમાર્કમાં નખ સ્પષ્ટ દેખાય છે. જે શ્વાનકુળના પ્રાણીમાં હોય છે. ઉપરાંત પાડીઓના ગળાના ભાગે છેક લીવર અને હાડકાં સુધી દાંત ઘૂસાડવામાં આવ્યા છે. એક્સપર્ટના મતે દીપડો સામાન્ય રીતે આગળના ગળાના ભાગે શિકાર કરે છે, જ્યારે શ્વાનકુળના પ્રાણીઓ (જેમ કે વરુ, શિયાળ, ઝરખ) પાછળના પગના ભાગે શિકાર કરે છે. ઝરખ, શિયાળ, વણિયાર સહિતના પ્રાણીઓનો વસવાટઆ શિકાર શિયાળ, ઝરખ, વરુ, વણિયાર, લોંકડી સહિતના શ્વાનકુળના જંગલી પ્રાણી દ્વારા કરાયો હોવાની સંભાવના છે. સાબરમતી નદીની કોતરો અને આસપાસના ગાઢ જંગલોમાં ઝરખ, શિયાળ, વણિયાર, અને જંગલી કૂતરા સહિતના પ્રાણીઓનો કાયમી વસવાટ છે. છેલ્લા એક અઠવાડિયાથી જંગલી પ્રાણીઓ માનવ વસાહત અને ખેતર વિસ્તારોમાં આવી ગયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. વન વિભાગનું પાલગ ગામના વિસ્તારમાં રાત્રિ સર્ચ ઑપરેશનએક વખત શિકાર કર્યા બાદ જંગલી પ્રાણીઓ તે જ સ્થળે ફરી આવતા હોય છે, તેથી વનવિભાગે પાલજના ખેતરો અને જંગલ વિસ્તારમાં કયું પ્રાણી શિકાર કરી ગયું છે તે શોધવા માટે વિસ્તારમાં રાત્રિ સર્ચ ઑપરેશન હાથ ધરવાનું નક્કી કર્યું છે. તેમજ શિકારી પ્રાણીને પકડવા માટે ખેતરો તથા જંગલ વિસ્તારમાં પાંજરા અને ઝાળી મૂકવામાં આવ્યા છે. મૃત પશુઓનું વેટરનરી ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરાયુંબીજી તરફ મૃત પાડીઓના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પશુપાલન વિભાગના વેટરનરી ડોક્ટર મારફતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, જેમાં ઘા ઊંડે સુધી હોવાથી મોત થયાનું સ્પષ્ટ થયું છે. જંગલી પ્રાણીના હુમલાથી આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે, ત્યારે વનવિભાગ જલ્દીથી જાનવરને પકડી પાડવા માટે મથામણ કરી રહ્યું છે. વન વિભાગ દ્વારા નદી વિસ્તારના સાતથી આઠ ખેતરોમાં તપાસ કરવામાં આવી છે. જ્યારે પિંજરાનું લોકેશન પર અલગ અલગ જગ્યાએ ફેરવતા રાખવાનું આયોજન કરાયું છે. મારણ થયેલા વિસ્તારની આસપાસમાં કુતરાના પગ માર્ક જોવા મળ્યાઆ અંગે નાયબ વન સંરક્ષક રવિરાજસિંહ વી. રાઠોડે કહ્યું કે, પશુઓનું મારણ થતાં વન વિભાગ ટીમને જાણ કરવામાં આવી હતી. આસપાસના વિસ્તારોમાં તપાસ કરતા અને સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કરતા કોઈ પણ એવા નિશાન મળી આવ્યા નથી. મારણ થયેલા આસપાસના વિસ્તારોમાં કુતરાના પગ માર્ક જોવા મળ્યા છે. એટલે કોઈ બિગ કેટ કે દીપડાની લોકો આશંકા વ્યક્ત કરી રહ્યા છે તે તદ્દન ખોટી છે.
ગુજરાત વિદ્યાપીઠની 18મી ગ્રામજીવન યાત્રા:કમાલપુર-ફીંચોડમાં સ્વદેશી-સ્વાવલંબન કાર્યક્રમ યોજાયો
મહાત્મા ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ દ્વારા છ દિવસીય સ્વાવલંબન ગ્રામજીવન યાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રા “સ્મરણ સ્નાતક, સન્માન સરદાર અને સંકલ્પ સ્વદેશી”ના ત્રિવિધ ઉદ્દેશ્ય સાથે યોજાઈ હતી. તેના ભાગરૂપે, ઈડર તાલુકાના કમાલપુર અને ફીંચોડ ગામની માધ્યમિક શાળા ખાતે પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા દર વર્ષે યોજાતી ગ્રામજીવન પદયાત્રાની 18મી આવૃત્તિ હતી. આ યાત્રાનો મુખ્ય હેતુ સ્વદેશી અને સ્વાવલંબન દ્વારા સર્વાંગી ગ્રામીણ વિકાસ સાધવાનો છે. ગુજરાત વિદ્યાપીઠના કમ્પ્યુટર વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ અને ડીન-ફેકલ્ટી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ડૉ. અજય પરીખે કાર્યક્રમમાં જણાવ્યું કે મહાત્મા ગાંધીજીએ આઝાદીની લડતમાં સ્વદેશી અને સ્વાવલંબનને રાષ્ટ્રની આત્મા ગણાવી હતી. તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રપોષક વ્યવસાય અને ગ્રામ ઉદ્યોગ થકી ભારતને વિકસિત દેશ તરીકે આગળ લઈ જવામાં આ યાત્રા એક મહત્વપૂર્ણ પગલું છે. આ યાત્રા અંતર્ગત સાબરકાંઠામાં ગુજરાત વિદ્યાપીઠના 47 વિદ્યાર્થીઓ અને 7 સેવકોની કુલ 14 ટુકડીઓ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ ટુકડીઓએ સ્મરણ સ્નાતક, સન્માન સરદાર અને સંકલ્પ સ્વદેશી દ્વારા સ્વાવલંબન અને આત્મનિર્ભરતા અંગે લોકોને માહિતગાર કર્યા. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે એકતા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મહેસાણાની નર્મદા વિભાગ કેનાલમાં સિંચાઈ માટે પાણી ન છોડતા હોવાના કારણે બહુચરાજી અને જોટાણા તાલુકાનો પાક બગડી રહ્યો છે એવો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સરકારે દિવાળી બાદ તમામ નર્મદા કેનાલમાં પાણી છોડવાના મૌખિક આદેશ કર્યા છે પરંતુ, નર્મદા વિભાગના અણઘડ વહીવટના કારણે બહુચરાજી અને જોટાણા તાલુકામાંથી પસાર થતી નર્મદાની માયનોર અને સબ માયનોર કેનાલમાં હજુ પાણી છોડવામાં નથી આવ્યું એવો ખેડૂતોનો આરોપ છે, જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું. નર્મદા વિભાગે પાણી તો નથી છોડ્યું પરંતુ, કેનાલોની સફાઈ પણ નથી કરી એવું ખેડૂત કહે છે. ખેડૂતોને પાણી ન મળતા મુશ્કેલીઓ સર્જાઈનર્મદાની કેનાલોમાં પાણી ના છોડાતા ખેડૂતોની સિંચાઈ માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે. ચણા, રાયડો, એરંડા, કપાસ, તુવેર સહિત વિવિધ પાકને પાણીના મળતા આ પાક સુકાઈ રહ્યા છે એવું ખેડૂતોનુ કહેવું છે. ફીચડી ગામના હરિભાઈએ 4 વીઘા જમીનમાં ચણાનું વાવેતર કર્યું છે પરંતુ, સિંચાઈ માટે પાણી ન મળતા તેમનો પાક બગડી રહ્યો છે એવું તેમનું કહેવું છે . સરકારના આદેશ બાદ પણ નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા કેનાલમાં પાણી ન છોડતા ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જોટાણા તાલુકા તેમજ બહુચરાજીના શંખલપૂર, ફીચડી, કાલરી, સાપાવાળા, વેણપુરા સહિતના ગામોના ખેડૂતો પરેશાન છે. જોકે, આ મુદ્દે બહુચરાજીના નર્મદા વિભાગના અધિકારીને પૂછતા બે-ચાર દિવસમાં કેનાલમાં પાણી છોડવાનું ટેલિફોનિક કહી રહ્યા છે. એક માસ થી રાહ જોઈએ પાણી આવતું નથીફિચડી ગામના ખેડૂત હીરા ભાઈ એ કહ્યું હાલ નર્મદા કેનાલમાં પાણી નથી આવતું. કલાક આવે ત્યારબાદ બંધ થઈ જાય છે.પાણી ન મળવાને કારણે એરંડા,ઘઉં,કપાસ,ચણા સુકાવા લાગ્યા છે.પાણી હોઈ તો બધું અમે પકવી શકીએ.એક માસ થી રાહ જોઈએ પાણી આવતું નથી. ખેડૂત દશરથ ભાઈ એ જણાવ્યું કે કેનાલમાં પાણી ન આવતા અમારો પાક શુકાય છે.પાણી છોડો એવી અમારી વિનંતી છે.પાણી ન આવવા ને કારણે પાસ સુકાય છે.
ગુજરાત બાર કાઉન્સિલ એસોસિએશન દ્વારા આજે મૂળ ગુજરાતના અને ગુજરાત હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટમાં એલિવેટ થયેલા જજ નિલય અંજારિયા અને વિપુલ પંચોલીનો સન્માન સમારોહ હાઈકોર્ટ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જજ સુનિતા અગરવાલ, સોલિસિટર જનરલ તુષાર મહેતા, એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી.રાજુ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મનન મિશ્રા, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જજ એન.વી. અંજારિયા 2011 થી હાઇકોર્ટમાં કાર્યરત રહ્યા હતાજજ એન.વી.અંજારિયા 21 નવેમ્બર, 2011 થી ગુજરાત હાઇકોર્ટમાં જજ તરીકે કાર્યરત રહ્યા હતા. તેઓ કર્ણાટક હાઈકોર્ટના ચીફ બન્યા હતા. આમ તેમની પાસે 12 વર્ષથી વધુ સમય હાઇકોર્ટના જજ તરીકેનો અનુભવ છે. તેઓ સિવિલ, કંપની, લેબર અને બંધારણીય કેસોના નિષ્ણાંત છે. સુપ્રીમ કોર્ટની કોલેજીયમ જજની સિનિયોરીટી અને મેરીટસના આધારે તેમની ભલામણ કરવામાં આવી હતી. તેઓએ હાજર વકીલોને કહ્યું હતું કે, હવે કોર્ટ રૂમ હ્યુમર ગાયબ થયું છે. વળી જજીસ બોલતા ના હોય તેવું સોશિયલ મીડિયામાં ચાલે છે. આઇડીઓલોજીનો આગ્રહ રાખતા નહીં પણ પ્રેફરન્સ આપજો, રાષ્ટ્રીયતાને આઇઆડીઓલોજી બનાવજો. 'જીવનમાં સફળ થવા મહેનત અને નસીબ બંને જરૂરી'ઉલ્લેખનિય છે કે, સુપ્રીમના જજ નિલય અંજારિયા અને વિપુલ પંચોલી, સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી.રાજુ અને એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અમદાવાદની એલ.એ.શાહ કોલેજમાં ભણેલા છે. સુપ્રીમના જજ વિપુલ પંચોલીને ગુજરાત હાઈકોર્ટથી પટના હાઇકોર્ટ ટ્રાન્સફર કરાયા હતા. બાદમાં તેઓ ત્યાં ચીફ જસ્ટિસ બન્યા હતા. તેમના પિતા એલ.એ.શાહ લો કોલેજમાં પ્રિન્સિપાલ હતા. તેઓ પોતે સાયન્સના વિધાર્થી રહી ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ મેટ્રો કોર્ટ, ગ્રામ્ય કોર્ટ અને હાઇકોર્ટમાં તેઓ વકીલ તરીકે ફરતા, તેમને કહ્યું હતું કે જીવનમાં સફળ થવા મહેનત અને નસીબ બંને જરૂરી છે.
પોરબંદરમાં ઓવરબ્રિજ-અંડરપાસ માટે ટોપોગ્રાફી સર્વે શરૂ:LC-3 અને LC-75 ફાટક પર ટ્રાફિક સમસ્યા હલ થશે
પોરબંદર શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા અને વાહનવ્યવહાર સરળ બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. LC No.3 (લીમડા ચોક રેલવે ફાટક) અને LC No.75 (કડિયા પ્લોટ રેલવે ફાટક) પર પ્રસ્તાવિત રેલવે ઓવરબ્રિજ અને અંડરપાસ પ્રોજેક્ટ માટે ટોપોગ્રાફી સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આ સર્વેની કામગીરીનું મેદાની નિરીક્ષણ મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિએ કડિયા પ્લોટ ખાતે કર્યું હતું. તેમણે સર્વેની પ્રગતિની સમીક્ષા કરી હતી. કમિશનરએ સૂચના આપી હતી કે ટોપોગ્રાફી સર્વે પૂર્ણ થયા બાદ કડિયા પ્લોટ ફાટક નજીક CVC (Classified Volume Count) ટ્રાફિક સર્વે હાથ ધરવામાં આવે. આ ઉપરાંત, લીમડા ચોક ખાતે OD (Origin Destination) સર્વેની કામગીરી એક અઠવાડિયામાં પૂર્ણ કરવા પણ તાકીદ કરી હતી. વધુમાં, રેલવે ઓથોરિટી પાસેથી મંજૂરી મેળવવા માટે જરૂરી નકશા અને અંદાજોની કામગીરી એક મહિનાની અંદર પૂર્ણ કરવા વિશેષ નિર્દેશ આપવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરી શહેરના બે અત્યંત વ્યસ્ત રેલવે ફાટકો પર ટ્રાફિકના કાયમી ઉકેલ તરફનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
સાબરકાંઠામાં BLO મતદારયાદી સુધારણા માટે બૂથ પર:મતદારોને ફોર્મ ભરવામાં અને માહિતી મેળવવામાં મદદ કરશે
સાબરકાંઠા જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજે અને આવતીકાલે મતદાન મથકો પર બૂથ લેવલ ઓફિસરો (BLOs) મતદારોને મદદ કરશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મતદારોના મતાધિકારને મજબૂત બનાવવાનો છે. જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ, 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ચાલનારા આ સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ, BLOs શનિવાર અને રવિવારે મતદાન મથકો પર હાજર રહેશે. આજે 15 નવેમ્બર (શનિવાર) અને આવતીકાલે 16 નવેમ્બર (રવિવાર) ઉપરાંત, 22 નવેમ્બર (શનિવાર) અને 23 નવેમ્બર (રવિવાર) ના રોજ પણ BLOs સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર, પ્રાંતિજ, ઇડર અને ખેડબ્રહ્મા એમ ચાર વિધાનસભા બેઠકોના કુલ 1282 મતદાન મથકો પર BLOs હાજર રહેશે. સ્થાનિક નાગરિકો પણ આ કામગીરીમાં મદદરૂપ થઈ રહ્યા છે. BLOs મતદારોને ઇન્યુમરેશન ફોર્મ (ગણતરી ફોર્મ) ભરવામાં, વર્ષ 2002ની મતદારયાદીમાં નામ શોધવામાં અને જરૂરી પુરાવા રજૂ કરવા અંગે માર્ગદર્શન આપશે. મતદારો BLOની મદદથી મેપિંગ/લિંકિંગ પણ કરાવી શકશે. મતદારોએ પોતાનું ઇન્યુમરેશન ફોર્મ ભરી, સહી કરીને BLO ને જમા કરાવવાનું રહેશે. ફોર્મ સાથે પોતાનો અદ્યતન ફોટો પણ રજૂ કરવો ફરજિયાત છે. મતદારો BLOનો ફોન દ્વારા સંપર્ક કરવા માટે voters.eci.gov.in પરથી Book a Call with BLO વિકલ્પનો ઉપયોગ કરી શકશે.
મોરબીમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોરબી જિલ્લાને ₹14.47 કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ મળી હતી, અને રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કરનારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વેજીટેબલ રોડ પર આવેલા પંચમુખી હનુમાનજી મંદિર પાસેના સત્સંગ હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે ₹3.97 કરોડના 27 કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ ઉપરાંત, ₹10.49 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન, મોરબી જિલ્લાના આદિજાતિ સમુદાયના રમતવીરો, ખેલાડીઓ અને વિવિધ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરનાર વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, ઇન્ચાર્જ કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ.અમૃતિયા અને જેઠાભાઇ મિયાત્રા સહિતના અગ્રણીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડો. જયંતીભાઈ ભાડેશિયા, મહેશભાઈ બોપલિયા અને જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી દ્વારા પ્રાસંગિક પ્રવચનો અપાયા હતા. વક્તાઓએ ભગવાન બિરસા મુંડાના સમાજ માટેના યોગદાન અને ક્રાંતિકારી જીવનને યાદ કરીને યુવા પેઢીને તેમનામાંથી પ્રેરણા લેવા આહ્વાન કર્યું હતું. મોરબી શહેર તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં વસતા અને કાર્યરત આદિવાસી/આદિજાતિ સમુદાયના મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા SIR એટલે કે ખાસ મતદાર યાદી સુધારણા ઝૂંબેશની કામગીરીમાં વધુ પડતા શિક્ષકોને જોડવામાં આવતા આજે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેક્ટર મારફત મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં મતદાર યાદી સુધારણાની આ કામગીરી વિદ્યાર્થીઓના ભણતરના ભોગે શિક્ષકોને સોંપવાને બદલે BLO ની અલગ કેડર ઉભી કરવામાં આવે તેવી માગણી કરી હતી તો સાથે જ બીમાર હોય કે દૂર રહેતા હોય તેમાં શિક્ષકો હાજર થવામાં મોડું કરે તો તેની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે. જે ખૂબ જ નીંદનીય છે જેથી શિક્ષકોને BLO ની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે તેવી માગ કરી હતી. રાજકોટ જિલ્લાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના વરિષ્ઠ ઉપાધ્યક્ષ હિરેનભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, બૂથ લેવલ ઓફિસર તરીકેની કામગીરી વધુ પડતા શિક્ષકોને સોંપવામાં આવે છે. શિક્ષણનું મુખ્ય કામ સાઈડમાં રાખીને દર વર્ષે ચૂંટણીની કામગીરી કરાવવામાં આવે છે ત્યારે આ વખતે SIR એટલે કે ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં પણ શિક્ષકોને જોડવામાં આવ્યા છે. જેમાં બીએલઓ તેમજ સહાયક બીએલઓ તરીકે ફરજ સોંપવામાં આવી છે. જેને લીધે શાળા કક્ષાએ શિક્ષણ સદંતર થતું નથી અને બાળકોના શિક્ષણને ખૂબ જ અસર થાય છે. જેથી અમારી ચુંટણી પંચને રાષ્ટ્રહિતમાં એક વિનંતી છે કે દર વર્ષે જો આ કામગીરી થતી હોય તો BLO ની અલગથી કેડર નીમવામાં આવે અને આ કામગીરી તેઓની પાસે લેવામાં આવે. અગાઉ જ્યારે બીએલઓની કામગીરી શરૂ થઈ ત્યારે વર્ષમાં માત્ર 8 થી 10 રવિવાર જ કામગીરી રહેતી હતી. આ કામગીરી ઓનલાઈન કરી ચૂંટણી અધિકારી, મામલતદાર તેમજ પ્રાંત અધિકારી દ્વારા તમામ કામગીરી શિક્ષકો ઉપર નાખી દેવામાં આવી. વર્તમાન સમયે મતદાર ગણતરી યાદીના ફોર્મનું વિતરણ, કલેક્શન અને ફોર્મ ભરવાની તમામ જવાબદારી શિક્ષકો ઉપર નાખી દેવામાં આવી છે. રાત્રે 10 વાગ્યા સુધી બહેનો કામ કરે છે. જેને લીધે શાળાઓ, શિક્ષકોને તેમના પરિવારજનોને તેમજ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે. જેથી આ કામગીરી માત્ર શિક્ષકો ઉપર જ નાખી દેવાને બદલે બુથ લેવલ ઓફિસરની અલગ કેડર ઊભી કરવામાં આવે તે જરૂરી છે. શિક્ષકો કોઈ વખત બીમાર હોય કે અન્ય કોઈ કારણ હોય તો તેઓ પર દબાણ કરવામાં આવે છે. દિવાળી વેકેશનમાં જે શિક્ષકો પોતાના વતનમાં ગયા હતા તેઓને તાત્કાલિક હાજર થવા માટેની સૂચના આપવામાં આવી. 200 થી 300 કિલોમીટર દૂર રહેલા શિક્ષકોને આવતા સમય લાગે. જે શિક્ષકોને હાજર થવામાં મોડું થયું તેઓને ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા તે ખૂબ જ નિંદનીય બાબત છે. તેથી અમારે કહેવાનું કે કલેક્ટર, મામલતદાર અને પ્રાંત અધિકારી એક સમયે પોતે વિદ્યાર્થીઓ હતા અને તેમના પણ શિક્ષકો હતા જો શિક્ષકો સામે આ પ્રકારના ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ સામે તેઓનું શું મહત્વ રહે તે સમજી શકાય તેવી બાબત છે.
પાલનપુર ખાતે સોલગામ લેઉવા પાટીદાર વિદ્યા સંકુલના પ્રાંગણમાં આર્યભટ્ટ એસવીએસ ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં કુલ 80 શાળાઓની 80 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. NCERT, દિલ્હી દ્વારા 'આત્મનિર્ભર ભારત' અને 'વિકસિત ભારત' થીમ અંતર્ગત આ પ્રદર્શન સમગ્ર દેશમાં યોજાઈ રહ્યું છે. પ્રદર્શનમાં રજૂ કરાયેલી કૃતિઓને પાંચ વિભાગોમાં વહેંચવામાં આવી હતી. શાળા અને મંડળ દ્વારા વિદ્યાર્થીઓ વધુમાં વધુ કૃતિઓ નિહાળી શકે તે માટે સુંદર આયોજન કરાયું હતું. દરેક કૃતિ માટે અલગ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા, જ્યાં બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શકો મુલાકાતીઓને કૃતિના કોન્સેપ્ટ વિશે સમજૂતી આપી રહ્યા હતા. આ પ્રદર્શનમાં સ્વસ્તિક શાળાના વિદ્યાર્થી દ્વારા પાલનપુરની મુખ્ય સમસ્યા, એરોમા સર્કલના ટ્રાફિક નિવારણ પર એક વિશેષ કૃતિ તૈયાર કરવામાં આવી હતી. આ મોડેલ દ્વારા ટ્રાફિકની સમસ્યાને સરળતાથી કેવી રીતે હલ કરી શકાય તે દર્શાવવામાં આવ્યું હતું. આ કૃતિએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.વિદ્યાર્થીઓએ રજૂ કરેલા વર્કિંગ મોડેલમાં એરોમા સર્કલ પર ટ્રાફિક ઘટાડવા માટે અમદાવાદથી આબુ રોડ સુધી એક સળંગ રોડનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. પાલનપુરથી અમદાવાદ જવા માટે સર્વિસ રોડનો ઉપયોગ કરી શકાય છે, જ્યારે પાલનપુરથી ડીસા જવા માટે ઓવરબ્રિજનો ઉપયોગ સૂચવાયો હતો. તેવી જ રીતે, પાલનપુરથી આબુ રોડ જવા માટે આ બ્રિજની નીચેથી રસ્તો દર્શાવવામાં આવ્યો હતો. આ મોડેલ આબુ રોડથી પાલનપુર આવવા માટે સર્વિસ રોડ, અને આબુ રોડથી અમદાવાદ જવા માટે સળંગ હાઈવેનો ઉપયોગ દર્શાવે છે. આબુ રોડથી ડીસા જવા માટે ઓવરબ્રિજનો ઉપયોગ સૂચવાયો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એરોમા સર્કલ પર થતા અકસ્માતોને અટકાવવાનો છે. આ મોડેલમાં કોઈ સિગ્નલ લાઈટ કે યુ-ટર્ન આપવામાં આવ્યા નથી. આ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં લગભગ 15-20 દિવસનો સમય લાગ્યો હતો. જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, આજે સોલગામ લેઉવા પાટીદાર વિદ્યા સંકુલના પ્રાંગણમાં આર્યભટ્ટ એસવીએસનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાઈ રહ્યું છે. આમાં આ એસવીએસમાં કુલ 80 શાળાઓની 80 કૃતિઓ રજૂ થઈ છે અને કુલ પાંચ વિભાગોમાં દરેક સ્કૂલ પોતાની કૃતિ લઈને આવેલી છે. શાળા અને મંડળ દ્વારા આ કૃતિઓ વધારેમાં વધારે વિદ્યાર્થીઓ જોઈ શકે એના માટેનું ખૂબ સરસ આયોજન કર્યું છે. પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, દરેક કૃતિ વાઇઝ સ્ટોલ બનાવવામાં આવેલા છે અને જે બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શકો આવ્યા છે એ આવનારને એ કૃતિ કયા કોન્સેપ્ટ ઉપર બનાવી છે એ પોતે એની રજૂઆત કરીને બતાવે છે. આમ તો સમગ્ર ભારત દેશની અંદર એનસીઇઆરટી (NCERT) દિલ્હી દ્વારા અત્યારે આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત અંતર્ગત આ થીમ ઉપર આખું આ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાઈ રહ્યું છે. અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રિન્સિપાલ તરીકે હું આજે અહીંયા ઉપસ્થિત રહ્યો છું અને મેં મારી નજરે આખું પ્રદર્શન નિહાળ્યું છે. અને એ માટે કરીને આ જે શાળા સંકુલ છે એમના પ્રમુખ શ્રી છે આર. એમ. પટેલ સાહેબ, એમની જહેમત, એમની ટીમ જે શૈક્ષણિક ટીમ છે એમણે ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે. વિદ્યાર્થી શાહ મોહમ્મદે જણાવ્યું હતું કે, સ્વસ્તિક સ્કૂલમાં હાયર સેકન્ડરીમાં ભણીએ છીએ. ઍરોમા સર્કલમાં સૌથી મોટી પ્રોબ્લેમ ટ્રાફિકનો છે તો એને સોલ્વ કરતો અમારું વર્કિંગ મોડેલ છે. જેમાં અમે અમદાવાદથી આબુ રોડ સુધી એક સળંગ રોડ રાખ્યો છે. અને કોઈને પણ પાલનપુરથી અમદાવાદ જવા માટે આ સર્વિસ રોડ નો યુઝ કરી શકે છે. અને પાલનપુરથી ડીસા જવા માટે આ ઓવરબ્રિજ નો યુઝ કરીને ડીસા જઈ શકે છે. એવી જ રીતે પાલનપુરથી આબુ રોડ જવા માટે આ ઓવરબ્રિજ નો યુઝ કરીને આવી રીતે આ બ્રિજની નીચેથી જઈ શકે છે. શાહ મોહમ્મદે જણાવ્યું હતું કે, આવી જ રીતે વાત કરીએ આબુ રોડની, તો આબુ રોડથી પાલનપુર આવવા માટે સર્વિસ રોડનો યુઝ કરી શકે છે. અને આબુ રોડથી અમદાવાદ જવા માટે સળંગ હાઈવે આવેલો છે. અને આબુ રોડથી ડીસા જવા માટે આ ઓવરબ્રિજ નો યુઝ કરીને આવી રીતે અહીંથી જઈ શકે છે. એવી જ રીતે ડીસા માટે અને અમદાવાદ માટે સેમ છે. અમે ઘણા બધા મિત્રો અમારા ઍરોમા સર્કલના એક્સિડેન્ટમાં ગુમાવ્યા છે, અને તેને સોલ્વ કરતો અમારો આ વર્કિંગ મોડેલ છે, જેમાં સિગ્નલ લાઈટ નહીં અને કોઈપણ જગ્યાએ યુ-ટર્ન નહીં આપવામાં આવ્યો. પ્રોજેક્ટ પૂરો કરવા માટે લગભગ અમને 15-20 દિવસ લાગ્યા હતા.
અમદાવાદમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય મહાસંઘના પ્રતિનિધિઓ આજે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. શિક્ષકોએ જણાવ્યું કે, શૈક્ષણિક કાર્ય પુરૂં કર્યા બાદ પણ તેમને વધારાની ચૂંટણી સંબંધિત ફરજો સોંપવામાં આવી રહી છે, જેના કારણે ભારે કામનો બોજ ઊભો થયો છે. વોરંટ કાઢી ધરપકડ જેવી કાર્યવાહી કરવાની શિક્ષકોને ધમકીઃ અક્ષિતા જાની પ્રાંત મહિલા મંત્રી અક્ષિતા જાનીએ જણાવ્યું કે, જો સોંપાયેલ કામગીરી સમયસર પૂર્ણ ન થાય, તો વોરંટ કાઢી ધરપકડ જેવી કાર્યવાહી કરવાની ધમકી આપવામાં આવે છે. કેટલાક શિક્ષકોએ નોકરી પરથી દૂર કરવાની ચેતવણી મળતી હોવાનો આક્ષેપ પણ કર્યો. શિક્ષકોએ માગ કરી કે, BLOની ફરજો માત્ર શિક્ષકોને જ નહીં, પરંતુ અન્ય કેડરના કર્મચારીઓને પણ સોંપવામાં આ,વે જેથી શિક્ષકો પરનો વધારાનો ભાર ઘટે. હાલ એક BLOને સરેરાશ 1400 જેટલા મતદારોની વિગતો એકત્ર કરવાની અને ત્યારબાદ તેની ઑનલાઈન એન્ટ્રી કરવાની જવાબદારી પણ હોય છે, જે અત્યંત સમયખાઉ બની શિક્ષણ વ્યવસ્થાને અસર કરે છે. વ્યક્તિગત ફોન નંબરની જગ્યાએ કોમન હેલ્પલાઈન નંબર આપોઃ હિરલ જાનીઅન્ય શિક્ષિકા હિરલ જાનીએ જણાવ્યું કે, BLO તરીકે ફરજ દરમિયાન શિક્ષકોના વ્યક્તિગત મોબાઈલ નંબર જાહેર થઈ જતા હોય છે, જેના કારણે અરસમયે ફોન આવવા ઉપરાંત, ઘણા લોકો વ્યક્તિગત માહિતી પણ પૂછતા હોય છે. ઘણી વખત તો રાતના 11 વાગ્યા સુધી ફોન આવતા હોવાનું તેમણે કહ્યું. હિરલ જાનીએ માંગણી કરી કે, BLO માટે વ્યક્તિગત નંબરની જગ્યાએ કોમન હેલ્પલાઇન નંબર આપવામાં આવે, જેથી શિક્ષકોની ગોપનીયતા જળવાઈ રહે અને જરૂરી માહિતી મેળવવામાં સરળતા રહે. શિક્ષકોએ રજૂઆત કરી કે તેમની પરનો કામનો બોજ ઘટાડવા માટે પગલાં લેવામાં આવે.
જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય ભગવાન બારડ અને વિમલ ચુડાસમા સહિતના જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. કલેક્ટરે વિભાગોને પરસ્પર સંકલન જાળવીને કાર્ય કરવા અને નાગરિકલક્ષી કાર્યોમાં વિલંબ ન થાય તે માટે ખાસ સૂચના આપી હતી. તેમણે જનહિતલક્ષી ફરિયાદોને સત્વરે ધ્યાનમાં લઈ તેનો ઝડપી ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નો, તાલુકા સ્તરે પ્રાકૃતિક કૃષિ વેચાણ વ્યવસ્થા માટે જગ્યા ફાળવવા બાબત, અને સરકારી વાહનો સ્ક્રેપ કરવા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. કલેક્ટરે સંલગ્ન વિભાગોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલેએ નાગરિકલક્ષી અરજીઓના નિકાલ, મંત્રીના પ્રવાસ માટે લાયઝન અધિકારીઓની નિમણૂક, સ્વાગત પોર્ટલ પરની અરજીઓનો નિકાલ અને જનપ્રતિનિધિઓના પત્રો વિશે સમયસર વિગતો પૂરી પાડવા માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, કે.આર.પરમાર સહિત માર્ગ અને મકાન, સિંચાઈ, શિક્ષણ, ખેતીવાડી, પી.જી.વી.સી.એલ, જેટકો જેવા વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક સમાન સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા આ યાત્રામાં જામનગર 79 દક્ષિણ વિધાનસભા અને ભાજપ પરિવારના મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો જોડાયા હતા. આ યુનિટી માર્ચનો પ્રારંભ શહેરના રણજીત નગર વિસ્તારમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા ખાતેથી થયો હતો. પ્રારંભ પહેલા સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજ અને દેશભક્તિના ગીતો સાથે આ યાત્રા દિગ્વિજય પોલીસ ચોકી, પવનચક્કી, ખંભાળિયા ગેટ, હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, બર્ધન ચોક અને દરબારગઢ શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ હતી. યાત્રાનું સમાપન પંચેશ્વર ટાવર ખાતે થયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી પણ જોડાયા હતા. તેમણે દેશની એકતામાં સરદાર સાહેબના સર્વોચ્ચ યોગદાનને બિરદાવ્યું હતું. શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી અને મેયર વિનોદભાઈ ખીમસુરીયા સહિત ભાજપ પરિવારના અનેક અગ્રણીઓ પણ આ યુનિટી માર્ચમાં ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢ મહાનગરપાલિકાની હદમાં આવેલો મેઘાણીનગર વિસ્તાર આજે વિકાસના નામે જાણે શ્રાપિત હોય તેવી દયનીય હાલતમાં જીવી રહ્યો છે. મહાનગરપાલિકાના નકશામાં આ વિસ્તારનું અસ્તિત્વ છે કે કેમ, તેવો સવાલ અહીંના સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. કારણ કે કરોડોના વિકાસના દાવાઓ વચ્ચે આ વિસ્તાર પાયાની સુવિધાઓથી વંચિત છે. રખડતા ઢોર, ગંદકીના ગંજ અને ગટરના ગંધાતા પાણીના કારણે મેઘાણીનગરની હાલત ગામડાં કરતાં પણ વધુ ખરાબ બની ગઈ છે. દિવ્ય ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં સામે આવ્યું કે, મુખ્યમંત્રી કે નેતાઓના આગમન સમયે જ માત્ર શહેરના મુખ્ય રસ્તાઓ પર સફાઈ થાય છે, પરંતુ મેઘાણીનગર જેવા વિસ્તારોને સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા છે. સ્થાનિક મહિલાઓએ આ અંગે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પર ભ્રષ્ટાચાર અને બેદરકારીના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને રોષભેર કહ્યું હતું કે, 'જો સુવિધા આપી શકતા ન હોય તો ઢાંકણીમાં પાણી લઈ અને ડૂબી મરો'. ગામડાંથી પણ બદતર પરિસ્થિતિનું ગ્રાઉન્ડ રિયાલિટી ચેકજૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના વિકાસના કામો કરવામાં આવતા હોવાના દાવા વચ્ચે, દિવ્ય ભાસ્કરની ટીમે મેઘાણીનગરની મુલાકાત દરમિયાન જે દ્રશ્યો જોવા મળ્યા, તે તંત્રની સદંતર નિષ્ક્રિયતાની ચાડી ખાય છે. વહેલી સવારે સ્થાનિકોના કોલને પગલે મેઘાણીનગર પહોંચેલી ટીમે જોયું કે ખુલ્લી ગટરોનું ગંધાતું પાણી રસ્તાઓ પર ફરી વળ્યું છે, જેના કારણે રોડની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાયેલા છે અને આ રોડ પર જ 50થી વધુ રખડતા ઢોરનું ટોળું બેસી રહે છે, જેના પોદરા આખા વિસ્તારમાં ફેલાયેલા છે. સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું કે જ્યારે મુખ્યમંત્રી કે નેતાઓ શહેરની મુલાકાતે આવે છે, ત્યારે જ જૂનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ શહેરના મુખ્ય રસ્તાઓને શણગારે છે, ડામર પાથરે છે અને સાફ-સફાઈ કરે છે. પરંતુ મેઘાણીનગર જેવા અનેક વિસ્તારોને જાણે શહેરના નકશામાંથી કાઢી નાખવામાં આવ્યા હોય તેવી અનુભૂતિ સ્થાનિકો કરી રહ્યા છે. લોકોએ સ્પષ્ટપણે કહ્યું કે, જૂનાગઢ શહેર ઐતિહાસિક નગરી તરીકે હવે માત્ર સોશિયલ મીડિયામાં જોવાનું જ સારું લાગે તેવી દિવસે ને દિવસે શહેરની પરિસ્થિતિ થઈ રહી છે. સ્થાનિક મહિલાઓના આક્રોશ સાથે ગંભીર આક્ષેપોભાવિનીબેન મકવાણાએ જણાવ્યું હતું કે, 365 દિવસનો ટેક્સ ભરીએ ત્યારે માંડ 48 દિવસનું કામ થાય છે. કચરાની ગાડી 8 દિવસે એકવાર આવે છે.તંત્રના પદાધિકારીઓને પડકાર ફેંકતા કહ્યું હતું કે, અહીં એકવાર આવો, અહીં એકવાર આવીને જુઓ કે અહીંની હાલત શું છે. અહીંના રસ્તાઓ, ભૂગર્ભ ગટરના નામે અહીં માત્ર વાતો છે, એક પણ સુવિધા અહીં નથી. તેમણે ટેક્સ ભરવા છતાં સુવિધા ન મળવાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું કે, અમે દર વર્ષે 365 દિવસનો ટેક્સ ભરીએ, ત્યારે માંડ 48 દિવસનું કામ થાય છે. કચરાની અનિયમિતતા અંગે તેમણે કહ્યું કે, કચરો લેવા માટે ગાડી પણ 8 દિવસે એકવાર આવે છે અને કારણ પૂછતા 'અમારી ગાડી બગડી ગઈ છે' તેમ કહેવામાં આવે છે. તેમણે સત્તાધીશો પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા કહ્યું કે, અહીં નજીક જ ઉચ્ચ અધિકારીઓના બંગલા છે. અહીં ચારેકોર ભ્રષ્ટાચાર જ છે. મેઘાણીનગરના કોર્પોરેટર કોણ છે? અહીં ક્યારેય કોઈ આવ્યું નથી. અમારે તો સુવિધા જોઈએ છે. ત્યારે અધિકારીઓને પૂછવું છે કે આ મેઘાણીનગર જૂનાગઢના નકશામાં આવે છે કે નહીં ? મેઘાણીનગર અનાથ છે, 50થી વધુ ઢોર રોડ પર પોદરા કરે છે; રખડતા ઘોડાએ બહેનની આંખ તોડી નાખી.ઉષાબેન મકવાણાએ વિસ્તારની દયનીય સ્થિતિ પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે અહીં મેઘાણીનગરમાં વિકાસના નામે શૂન્ય છે. જ્યારથી મેઘાણીનગર અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આ મેઘાણીનગરને કોઈ મા નથી કે કોઈ બાપ નથી, મેઘાણીનગર અનાથ છે. રખડતા ઢોરના ત્રાસની વાત કરતાં તેમણે જણાવ્યું કે, અહીં 50 થી વધુ રખડતા ઢોરનું ટોળું રોડ પર બેસી પોદરા કરે છે. તેમણે કહ્યું કે કચરો લેવા આવતી ગાડીનો સ્ટાફ ઢોરના પોદરા લઈ જવાની સાત શબ્દોમાં મનાઈ કરે છે કે 'આ અમારામાં આવતું નથી', અને પૂછતા કોઈ 'હું તો મહેમાન છું' તેમ કહે છે. રખડતા ઢોરના કારણે થયેલી દુર્ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, થોડા દિવસો પહેલા જ અહીં રખડતા ઘોડાએ એક બહેનને લગાડી દીધું હતું, જેને આ રખડતા ઢોરના કારણે આંખ ગુમાવવાનો વારો આવ્યો. તેમણે અંતમાં કહ્યું કે, જૂનાગઢમાં નેતાઓ જે રોડ પરથી પસાર થાય, તેટલો જ રોડ રિપેર કરવામાં આવે છે કે નવો બનાવવામાં આવે છે. જુનાગઢ હવે જુનાગઢ નથી પરંતુ ખાદાગઢ થઈ ગયું છે. ગટરની દુર્ગંધથી રાતે કે દિવસે ઘરની બહાર નીકળી શકાતું નથી શારદાબેન વેકરિયાએ ગટરની સમસ્યા અને તંત્રની ઉદાસીનતા પર સૌથી આક્રોશપૂર્ણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગટર નજીક જ મારું મકાન છે, જેને લઈ અમે રાતે કે દિવસે ઘરની બહાર પણ નીકળી શકતા નથી તેવી દુર્ગંધ આ ગટરમાંથી આવે છે. તેમણે અધિકારીઓને પડકારતા કહ્યું હતું કે, અધિકારીઓ, પદાધિકારીઓ મેઘાણીનગરમાં આવીને જુઓ, નહિતર 'એક મોટી ઢાંકણીમાં પાણી ભરી ડૂબી મરો'. તેમણે મનપા પર ટેક્સ ઉઘરાવવા બદલ સવાલ કર્યો કે જો મહાનગરપાલિકાએ સુવિધા ન આપવી હોય તો ટેક્સ શા માટે ઉઘરાવો છો? મેઘાણીનગરમાં કોઈપણ પ્રકારની સુવિધા નથી છતાં પણ શિક્ષણ વેરો, બત્તી વેરો, પાણી વેરો શા માટે ઉઘરાવવામાં આવે છે? તેમણે માંગ કરી કે, આ વિસ્તારમાં પી.ડબ્લ્યુ.ડી. ના મકાનો ભાંગીને ભૂકો થઈ ગયા છે જેમાંથી બારી, દરવાજા, પંખા અને વાયરો પણ ચોરાયા છે. અને જો મેઘાણીનગરને સુવિધા આપી શકતા ન હોય તો વોર્ડ નંબર 15 કાઢી નાખો, જેથી અમારે ટેક્સ ભરવો નહીં. તંત્રની બેદરકારીના કારણે આરોગ્ય અને સુરક્ષાનું જોખમમેઘાણીનગરમાં ગટરના ખુલ્લા પાણી અને ગંદકીના ગંજ મચ્છરો અને અન્ય રોગકારક જીવાણુઓને આકર્ષે છે, જે સ્વાઈન ફ્લૂ, ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીઓનું જોખમ વધારે છે. ખાસ કરીને સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે જતા ભાવિકોએ પણ ગંદકીમાંથી પસાર થવું પડે છે, જે તેમની આસ્થાને પણ ઠેસ પહોંચાડે છે. રખડતા ઢોરનો ત્રાસ એટલો છે કે સ્થાનિકોને હાથમાં લાકડી લઈને નીકળવું પડે છે, જે શહેરી વિસ્તારમાં સુરક્ષાની ચિંતા ઊભી કરે છે. ઘોડાએ એક મહિલાને ઈજા પહોંચાડવાનો કિસ્સો તંત્રની ઢોર નિયંત્રણ નીતિની નિષ્ફળતા દર્શાવે છે. ભાવિનીબેન મકવાણા દ્વારા કરાયેલા ટેક્સ સામે ઓછા કામના અને કચરાની અનિયમિત ગાડીના આક્ષેપો, તેમજ ઉષાબેન દ્વારા 'મહેમાન' દ્વારા કચરો લેવાના આક્ષેપો, સફાઈ અને ટેક્સ વિભાગના કામકાજમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારની આશંકા ઊભી કરે છે.વોર્ડ નંબર 15 ના સ્થાનિકો ટેક્સ ભરવા છતાં સુવિધા ન મળતા પોતે મહાનગરપાલિકા દ્વારા અવગણાયેલા હોવાની અને 'અનાથ' હોવાની લાગણી અનુભવી રહ્યા છે. આ સમગ્ર પરિસ્થિતિ જૂનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશો માટે એક મોટો પડકાર છે કે તેઓ મેઘાણીનગર જેવા વિસ્તારોને તેમના નકશામાં સ્થાન આપીને, તાત્કાલિક ધોરણે ભૂગર્ભ ગટર, રોડ રિપેરિંગ અને ઢોર નિયંત્રણની સુવિધાઓ પૂરી પાડે, નહીં તો સ્થાનિકોનો આક્રોશ વધુ ઉગ્ર બનશે.
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ઈજાના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને રાજસ્થાનના જોધપુર ખાતેથી ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) ની સૂચના બાદ કરવામાં આવી હતી. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, તેમજ શરીર સંબંધિત અને મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તથા અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાને સૂચના આપવામાં આવી હતી. LCB ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા અને ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાથમાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો જોરાવરનગર પોલીસ સ્ટેશનના ગંભીર ઈજાના ગુનાના આરોપીઓને પકડવા પ્રયત્નશીલ હતી. તે દરમિયાન, સ્ટાફના પો.હેડ કોન્સ. અજયવીરસિંહ ઝાલા અને પો.કોન્સ. અશ્વિનભાઈ માથુકિયાને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે ઉપરોક્ત મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ હાલ રાજસ્થાનના જોધપુર ખાતે છુપાયેલા છે. આ બાતમીના આધારે, LCB ટીમ જોધપુર પહોંચી હતી અને ગુનામાં સંડોવાયેલા અનિલભાઈ વિરમભાઈ પરમાર અને રાહુલ ઉર્ફે જયપાલ ભરતભાઈ વિરમગામીયાને ઝડપી પાડ્યા હતા. કાયદેસરની કાર્યવાહી બાદ તેમને આગળની કાર્યવાહી માટે જોરાવરનગર પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓના નામ આ ગુનો જોરાવરનગર પો.સ્ટે. ગુ.ર.નં. 11211025250701/2025, બી.એન.એસ. કલમ 115(2), 118(1), 117(2), 54 તથા જી.પી.એ. 135 મુજબ નોંધાયેલ છે. આ કામગીરીમાં LCB સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમા તથા સ્ટાફના પો.હેડ કોન્સ. અજયસિંહ ઝાલા, પો.કોન્સ. અશ્વિનભાઈ માથુકિયા, પો.કોન્સ. મહેન્દ્રભાઈ દાદરેસા, પો.કોન્સ. સંજયભાઈ પાઠક અને પો.કોન્સ. મેહુલભાઈ મકવાણા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
પશ્ચિમ કચ્છ-ભુજની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મુંદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસતા-ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી માંડવી શહેર વિસ્તારમાંથી કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓમાં હરી હરજી ગઢવી (ઉંમર 42, રહે. મૂળ કોટાયા, તા. માંડવી, હાલ ધવલનગર-2, માંડવી) અને ગોવિંદ વાલા ગઢવી (ઉંમર 25, રહે. ઉનડોઠ, તા. માંડવી) નો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતા. LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. જેઠી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી. જાદવના માર્ગદર્શન હેઠળ, LCB ટીમના એ.એસ.આઈ. દેવજીભાઈ મહેશ્વરી, પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઈ ગઢવી અને લીલાભાઈ દેસાઈએ ગુપ્ત માહિતીના આધારે આ આરોપીઓને શોધી કાઢ્યા હતા. પોલીસે બંને આરોપીઓને ગુના અંગેની જાણકારી આપી અટકાયત કરી હતી. ત્યારબાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભારત દેશમાં અંગ્રેજ સલ્તનત સામે જનજાતિ સમુદાયના મસીહા બનીને ઉભરેલા ભગવાન બિરસા મુંડા વર્ષ 1875 થી 1900 એમ 25 વર્ષના ટૂંકા પરંતુ જ સંઘર્ષમય જીવન જીવ્યા અને તેનાથી જનજાતિ સમુદાયને ઉજ્જવળ બનાવ્યુ ત્યારે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિને અનુલક્ષીને દેશમાં 1 થી 15 નવેમ્બર દરમિયાન જનજાતિય ગૌરવ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. જેના ભાગરૂપે આજે રાજકોટના હેમુ ગઢવી હોલમાં જનજાતિય ગૌરવ દિવસ ઉજવાયો હતો. કાર્યક્રમમાં જરૂરિયાતમંદ દીકરીઓને ભગવા રંગની સાયકલ શિષ્યવૃતિ સ્વરૂપે આપવામાં આવી હતી. આ સાથે જ ડી. એચ. કોલેજના પટાંગણમાં આરોગ્ય અને સેવા સેતુ કેમ્પ યોજાયો હતો. જેમાં એક જ જગ્યાએથી લોકો હેલ્થ ચેકઅપ અને સારવાર ઉપરાંત સરકારી યોજનાઓનો લાભ લઈ શક્યા હતા. 2024-25નું વર્ષની જનજાતિય ગૌરવ વર્ષ તરીકે ઉજવણીજિલ્લા પંચાયતના પ્રમુખ અને કાર્યક્રમના અધ્યક્ષ પ્રવિણાબેન રંગાણીએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2024 - 25 ને જનજાતિય ગૌરવ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે બિરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે. બ્રિટિશ સલ્તનત અને જમીનદારો સામે બંડ પોકારનાર આદિવાસીઓના રક્ષક ભગવાન બિરસાએ આદિવાસી સમાજ માટે જંગ છેડી હતી. નવી પેઢી તેમનું યોગદાન સમજે તે જરૂરી છે. આ તકે સંજીવ ઓઝાએ કહ્યું હતું કે, ધોરણ - 4 માં ભણતા બિરસાએ શાળામાં સ્વધર્મ, સ્વરાજ અને સનાતન સંસ્કૃતિ વિશે વાત કરી હતી. જળ, જમીન અને જંગલના માણસ ભગવાન બિરસાના જીવનમાંથી પ્રેરણા લઈએ. રૂ. 9.71 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ15મી નવેમ્બરના રાજકોટ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેને લઇને શહેરના હેમુ ગઢવી હોલમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમા 9.71 કરોડના વિકાસકામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. જેમાં આદિવાસી સમૂહો દ્વારા તેમની પારંપરિક વેશભૂષામાં નૃત્ય રજૂ કરવામાં આવ્યુ હતુ. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીની અધ્યક્ષતા હતી. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની જિલ્લાકક્ષાની ઉજવણી કાર્યક્રમમા બિરસા મુંડાના જીવન સંઘર્ષનું ફિલ્મ નિદર્શન, આદિજાતિ સમાજના રમતવીરો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને શાળા - કોલેજમાં યોજાયેલી સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન દીકરીઓને ભગવા રંગની સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતુ. રાજકોટ જિલ્લાના 9.71 કરોડના વિકાસ કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં થયું હતું તો સાથે જ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના પટાંગણમાં સેવા સેતુ અને આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસપાસના વિસ્તારના લોકો તેમજ જે લોકો આ કાર્યક્રમમાં આવ્યા હતા તેઓએ મેડિકલ ચેકઅપ ઉપરાંત આધાર કાર્ડ, જન્મ મરણના દાખલા, રાશન કાર્ડ, સમાજ સુરક્ષા અને બેંકને લગતી સેવાઓનો લાભ લીધો હતો. જેમાં રાજકોટ શહેર ઉપરાંત ગોંડલ, ધોરાજી તથા ઉપલેટામાં વસતા વિવિધ આદિવાસી સમૂહો આ કાર્યક્રમમાં તેમની પારંપરિક વેશભૂષામાં ધારણ કરીને પહોંચ્યા હતા. આ ઉજવણી અંતર્ગત શહેરની સ્કૂલ, કોલેજોમાં ભગવાન બિરસા મુંડાના જીવન-કવન અંગે વકતૃત્વ તથા નિબંધ સ્પર્ધા યોજાઈ હતી.
ગાંધીનગરની કુડાસણના ઊગતી હાઇટ્સ કોમ્પલેક્ષ સ્થિત ઉમિયા ઓવરસિસ વિઝા કન્સલ્ટન્સીના એજન્ટો દ્વારા કેનેડાના પર્મેનન્ટ રેસિડેન્સી વિઝા અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. એજન્ટોએ બેન્ક બેલેન્સ બતાવી 41 લાખના ચેક બાઉન્સ કરાવી માણસાના ખેડૂત અને તેમના પરિચિત સાથે છેતરપિંડી આચરવામાં આવતા ઇન્ફોસિટી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. કેનેડાના વિઝા અપાવવા માટે 41 લાખની છેતરપિંડી આ મામલે માણસા તાલુકાના બાપુપુરા ગામના ખેડૂત ભરતભાઈ રમણભાઈ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2020માં તેમના પુત્ર અપૂર્વ અને પુત્રવધૂ ફેનીલને કેનેડાના વિઝા અપાવવા માટે તેમણે મિત્ર ભાવેશભાઈ પટેલ મારફતે કુડાસણ સ્થિત ઉમિયા ઓવરસીસના સંચાલકો અંકિત શૈલેષભાઈ પટેલ અને વિશાલ મહેશભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. પરમેન્ટ વિઝા અપાવવા 1 કરોડની ફી નક્કી કરી'તીજેમણે વિઝા 18 મહિનામાં અપાવવાની ખાતરી આપી કુલ 1 કરોડ ફી નક્કી કરી હતી. જે પેટે ભરતભાઈએ શરૂઆતમાં 25 લાખ ટોકન પેટે ચૂકવ્યા હતા. સમય વીત્યા બાદ વિઝાની પ્રક્રિયામાં વિલંબ થતાં માર્ચ 2023માં આરોપી અંકિત પટેલે વિઝા નિયમો મુજબ તેમના પુત્રના બેંક એકાઉન્ટમાં રૂ .41,39,920 નું બેલેન્સ બતાવવાની જરૂરિયાત જણાવી હતી. આ બેલેન્સ તે પોતે જ જમા કરાવશે કહી તેના બદલામાં ભરતભાઈ પાસેથી કોરા ચેક સિક્યુરિટી પેટે લઈ લીધા હતા. બે એજન્ટે ખેડૂત પરિવારને ફસાવ્યોબાદમાં ટાઇગર ઓવરસીસના ખાતામાંથી રૂ.41,39,920 ભરતભાઈના પુત્રના એકાઉન્ટમાં RTGS દ્વારા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. જોકે આ પૈસા ટ્રાન્સફર થયાના થોડા દિવસો બાદ અંકિત પટેલે વિશ્વાસમાં લઈ આ રકમ અન્ય બે એજન્ટ મહેશકુમાર પટેલ અને ઉમંગ પટેલના એકાઉન્ટમાં પરત જમા કરાવી દીધી હતી. અને ભરત ભાઈનો પુત્ર અપૂર્વ અને પુત્રવધૂ ફેનીલ 4 માર્ચ 2024ના રોજ કેનેડા પહોંચી ગયા બાદ 6 માર્ચ 2024ના રોજ અંકિત પટેલના પિતા શૈલેષભાઈ કે. પટેલ, ઉમંગ પટેલ અને મહેશભાઈ પટેલે માણસાની એક આંગડિયા પેઢીમાંથી બાકીના 75 લાખ પણ લઈ હિસાબ પૂરો કર્યો હતો. નોટિસ મળી ને ચેક બાઉન્સ થયોજોકે, આ સમયે ભરતભાઈએ આપેલા કોરા ચેક પરત માંગતા આરોપીઓએ હાલમાં ફરિયાદો થયેલી છે તેમ કહી ચેક પરત આપ્યા નહોતા. આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે 20 એપ્રિલ 2024 ના રોજ ભરતભાઈના પુત્રને ટાઇગર ઓવરસીસ અને એજ્યુકેશન કન્સલ્ટના આકાશ જયંતિભાઈ પટેલ તરફથી નોટિસ મળી. જેમાં ઉલ્લેખ હતો કે ઉમિયા ઓવરસીસના કહેવાથી તેમના એકાઉન્ટમાં નાખેલા રૂ .41,39,920 ના બદલામાં અપાયેલો ચેક બાઉન્સ થયો છે. બાદમાં આજ મોડસ ઓપરેન્ડીથી ઋત્વીક રમેશભાઈ પટેલ સાથે પણ ઠગાઈ થયાનું ભરતભાઈ જાણવા મળ્યું હતું. કાવતરું રચી બેલેન્સ બતાવવાના નામે કોરા ચેક પડાવ્યા'તાઆમ આરોપીઓ અંકિત પટેલ, વિશાલ પટેલ, શૈલેષભાઈ પટેલ, ઉમંગ પટેલ, મહેશભાઈ પટેલ (તમામ રહે. લવારપુર) અને આકાશ જયંતિભાઈ પટેલ (ટાઇગર ઓવરસીસ) એ સંયુક્ત રીતે કાવતરું રચી બેલેન્સ બતાવવાના નામે કોરા ચેક પડાવી, પૈસા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી, અને સિક્યુરિટી ચેક બાઉન્સ કરાવીને છેતરપિંડી આચરતા ઇન્ફોસિટી પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે. ઉમિયા ઓવરસીસના સંચાલકો પર અગાઉ પણ ગુનો નોંધાયો છેઉલ્લેખનીય છે કે ,ઉમિયા ઓવરસીસના સંચાલકો અંકિત પટેલ, તેના મિત્ર વિશાલ પટેલ અને અન્ય આરોપીઓ પર અગાઉ પણ ગુના નોંધાયેલા છે. જેમાં ડભોડાના ખેડૂત જીગ્નેશ પટેલ સહિત ઓછામાં ઓછા 23 વ્યક્તિઓને યુએસ અને કેનેડિયન વિઝા અપાવવાના બહાને 7.75 કરોડથી વધુ રકમની છેતરપિંડી આચરવામાં આવી હોવાની FIR ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. કેનેડા PR વિઝા માટે 25 લાખ લીધા હતા આ કેસમાં પણ મુખ્ય આરોપીઓમાં અંકિત પટેલ, તેની પત્ની અનેરી પટેલ, વિશાલ પટેલ અને તેના પિતા શૈલેષ પટેલ સામેલ છે. જીગ્નેશ પટેલે એકલાએ કેનેડા વર્ક પરમિટ વિઝા માટે 65 લાખ ગુમાવ્યા એજ રીતે કલોલના મુકેશ અમૃતલાલ પટેલે પણ ઉમિયા ઓવરસીસના સંચાલકો વિશાલ પટેલ અને અંકિત પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ તેમની પુત્રીના કેનેડા PR વિઝા માટે 25 લાખ લીધા હતા અને CELPIP (કેનેડિયન ઈંગ્લિશ લેગ્વેજ પ્રોફીસીએન્સી ઈન્ડેક્ષ પ્રોગ્રામ) પરીક્ષા પાસ કર્યાની ખોટી PDF ફાઇલ મોકલી હતી, પરંતુ વિઝા અપાવ્યા નહોતા. પત્ની અનેરી અને વિશાલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો હતોએજ રીતે ચિલોડાના એક શિક્ષક પરેશભાઈ ભગુભાઈ પટેલ પાસેથી પણ તેમના પુત્ર અને પુત્રવધૂના કેનેડા વિઝાના બહાને 40 લાખની છેતરપિંડી કરવા બદલ અંકિત પટેલ, તેની પત્ની અનેરી અને વિશાલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ કેસમાં પોલીસે અંકિત પટેલની ધરપકડ કરી હતી, જ્યારે વિશાલ પટેલ અમેરિકા ભાગી ગયો હોવાનું બહાર આવ્યું હતું. ભૂતકાળમાં CID ક્રાઇમે વિઝા કન્સલ્ટન્સીઓમાં દરોડા પાડ્યા હતા, જેમાં કુડાસણ સ્થિત ઉમિયા ઓવરસીસના વિશાલ પટેલ સામે ખોટા દસ્તાવેજો બનાવવાનો અને પાસપોર્ટ તેમજ અન્ય અસલ દસ્તાવેજો ચોરી કરવાનો ગુનો પણ નોંધાયો હતો. વિઝા અપાવવાના બહાને મોટી રકમો પડાવતાંઆ ફરિયાદો પરથી સ્પષ્ટ થાય છે કે ઉમિયા ઓવરસીસના સંચાલકો અંકિત શૈલેષભાઈ પટેલ, વિશાલ મહેશભાઈ પટેલ અને શૈલેષભાઈ કે. પટેલ એક પદ્ધતિસરનું કૌભાંડ ચલાવી રહ્યા હતા, જેમાં વિઝા અપાવવાના બહાને મોટી રકમો પડાવી લેવામાં આવતી હતી અને દસ્તાવેજોની ગેરરીતિ કરવામાં આવતી હતી.
પાટણ પાલિકાના ઉપપ્રમુખને ઓફિસ પરત મળી:ચીફ ઓફિસરના આદેશ બાદ કોર્પોરેટરોની એકતાથી વિવાદનો અંત આવ્યો
પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ હીનાબેન શાહને તેમની ઓફિસ પરત મળી છે. ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે વહીવટી હુકમ દ્વારા તેમની ઓફિસને મુલાકાતી કક્ષમાં ફેરવી દીધી હતી, જેના કારણે રાજકીય વિવાદ સર્જાયો હતો. નગરપાલિકાના કોર્પોરેટરોની એકતા અને ભાજપના નેતૃત્વના પ્રયાસો બાદ આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે. થોડા દિવસો અગાઉ, ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે ઉપપ્રમુખ હીનાબેન શાહની ઓફિસને મુલાકાતી કક્ષમાં રૂપાંતરિત કરવાનો આદેશ આપ્યો હતો. આ વહીવટી હુકમને કારણે પાલિકાના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો અને કોર્પોરેટરોમાં નારાજગી જોવા મળી હતી. આ વિવાદનો અંત લાવવા માટે પાલિકાના કોર્પોરેટરોએ એકતા દર્શાવી હતી. ભાજપના શ્રેષ્ઠ નેતૃત્વના પ્રયાસોને પગલે પાલિકા તંત્રને પોતાનો વહીવટી હુકમ પાછો ખેંચવાની ફરજ પડી હતી. પરિણામે, મુલાકાતી કક્ષનું બોર્ડ હટાવીને પુનઃ હીનાબેન શાહના નામનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. આજરોજ, ઉપપ્રમુખ હીનાબેન શાહને તેમની ઓફિસ પુનઃ સોંપવામાં આવી હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, સિનિયર કોર્પોરેટરો મનોજભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, નરેશભાઈ દવે, બીપીન પરમાર, બાંધકામ ચેરમેન મહેશભાઈ પટેલ, પાલિકાના દંડક મનોજભાઈ પટેલ સહિતના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. કોર્પોરેટરોએ આ પ્રસંગની ઉજવણી કરી હતી. હીનાબેન શાહે ઉપપ્રમુખની ઓફિસનો પુનઃ ચાર્જ લેતા તેમના સાથી કોર્પોરેટરોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. હીનાબેન શાહે જણાવ્યું હતું કે તેમને ઓફિસ પુનઃ પ્રાપ્ત થવી તે નારી શક્તિ, સંગઠન, એકતા અને નગરપાલિકાના તમામ કોર્પોરેટરોની જીત છે. સિનિયર કોર્પોરેટર મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે સત્તાની રૂએ ખોટો હુકમ કરીને ઓફિસ છીનવી લીધી હતી, જે આજે ભાજપના શ્રેષ્ઠ નેતૃત્વના કારણે પરત આપવાની ફરજ પડી છે. તેમણે પાલિકાના સભ્યોની લાગણીને ન્યાય મળ્યો હોવાનું જણાવી આગામી સમયમાં પાટણના વિકાસના કામોમાં તમામ સભ્યો ખભે ખભો મિલાવીને કામ કરવાની ખાતરી આપી હતી. આ અંગે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે પાલિકા પ્રમુખના મૌખિક હુકમથી ઉપપ્રમુખની ઓફિસ પુનઃ સોંપવામાં આવી છે. નોંધનીય છે કે, ઉજવણી બાદ કોર્પોરેટરો દ્વારા આતશબાજીથી થયેલો કચરો જાતે જ સાફ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા સેવન્થ ડે સ્કૂલની જગ્યા ભાડેપટ્ટે આપવામાં આવી હતી જેની શરતોનો ભંગ કરવામાં આવ્યો છે. શૈક્ષણિક હેતુ માટે જે નામથી જગ્યા ફાળવવામાં આવી છે તેના દ્વારા શિક્ષણ આપવામાં આવતું નથી અન્ય સંસ્થા દ્વારા શિક્ષણ આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. બિલ્ડીંગમાં વધારાનું બાંધકામ કરવામાં આવ્યું છે ત્યાંના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ કોઈ મંજૂરી લેવામાં આવી નથી જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે. 21 નવેમ્બર સુધીમાં શાળાને ખુલાસો કરવા જણાવાયુંટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રીતિશ મહેતાએ જણાવ્યું હતું કે, શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સંસ્થાને ભાડાપટ્ટે આપવામાં આવેલી છે. જેના માટે કરવામાં આવેલા કરારોનો ભંગ થયો હોવા અંગે લઈને કમિટીમાં અવારનવાર વિગતો માંગવામાં આવી હતી તેમ છતાં પણ કોઈ જાણકારી આપવામાં આવી નહોતી. આજે મળેલી કમિટીમાં ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલ દ્વારા સેવન્થ ડે સ્કૂલ મામલે કાર્યવાહી અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે સ્કૂલ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ભાડાપટ્ટે આપેલી જમીનના કરારનો ભંગ થયો હોવા અંગે નોટિસ આપવામાં આવી છે. 21 નવેમ્બરના રોજ સ્કૂલના સત્તાધીશોને જવાબ આપવા માટે બોલાવવામાં આવ્યા છે. જે સંસ્થા સાથે ભાડાપટ્ટાનો કરાર કરાયો તેના બદલે અન્ય સંસ્થા શિક્ષણ આપતી હોવાનું ખૂલ્યુંઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2001માં ખોખરા વિસ્તારમાં શૈક્ષણિક હેતુ માટે 99 વર્ષના ભાડાપટ્ટે ઈન્ડીયા ફાયનાન્શીયલ એસોસીએશન ઓફ સેવેન્થ ડે એડવેન્ટીસ્ટને 10465 ચો.મી. જમીન ફાળવવામાં આવેલી હતી. જેના ઉપર શૈક્ષણિક હેતુ માટે બિલ્ડીંગ બાંધવામાં આવેલી હતી. જોકે જે સંસ્થા સાથે ભાડા પટ્ટાનો કરાર કરવામાં આવ્યો તેના કરતાં અન્ય સંસ્થા દ્વારા શૈક્ષણિક હેતુ માટે કોલેજ ચલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેને લઈને ભાજપના સત્તાધીશો દ્વારા એસ્ટેટ વિભાગ પાસે તમામ માહિતી માંગવામાં આવી હતી. એસ્ટેટ વિભાગ દ્વારા શો- કોઝ નોટીસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો હતો જો કે તેમના દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું હતું. એસ્ટેટ વિભાગે તપાસ કરતા શાળાનો ભાંડો ફૂટ્યોભાજપના સત્તાધીશો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી કે ભાડા પટ્ટાના કરારનો ભંગ થઈ રહ્યો છે છતાં પણ તેમના દ્વારા કોઈ નોટિસ આપવામાં આવી નહોતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે સેવન્થ ડે સ્કૂલમાં પ્રાયમરી, સેકન્ડરી.હાયર સેકન્ડરી તથા કોલેજના શિક્ષણની પ્રવૃત્તિ કરવામાં આવે છે જેમાં પ્રાયમરી શિક્ષણ મહારાષ્ટ્રના પુણે ખાતે નોંધાયેલી એશ્લોક એજ્યુકેશન સોસાયટી સંસ્થા દ્વારા આપવામાં આવે છે. જ્યારે સેકન્ડરી/ હાયર સેકન્ડરી શિક્ષણ - ધ કાઉન્સિલ ઓફ સેવન્થ ડે એડવન્ટીસ્ટ એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુસન્સ દ્વારા આપવામાં આવે છે. કોલેજનું શિક્ષણ - સેવન્થ ડે એડવન્ટીસ્ટ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ તેમજ સેવન્થ ડે એડવન્ટીસ્ટ કોલેજ ઓફ બિઝનેસ સ્ટડીઝ - કોલેજ શિક્ષણ ધ કાઉન્સિલ ઓફ સેવન્થ ડે એડવન્ટીસ્ટ એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુસન્સ દ્વારા આપવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈન્ડીયા ફાયનાન્શીયલ એસોસીએશન ઓફ સેવેન્થ ડે એડવેન્ટીસ્ટને શૈક્ષણિક હેતુ માટે જમીન ફાળવી હતી પરંતુ અન્ય સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા શરતોનો ભંગ કરવામાં આવ્યો છે. સેવનથ ડે સ્કૂલના વર્ષ 2022ના ઓડિટ રિપોર્ટમાં પણ બિલ્ડીંગ માટે 1.59 લાખ રૂપિયા ભાડું આપવામાં આવ્યું હોવાનું દર્શાવવામાં આવ્યું છે. જેથી ઈન્ડીયા ફાયનાન્શીયલ એસોસીએશન ઓફ સેવેન્થ ડે એડવેન્ટીસ્ટને ભાડું ચૂકવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સેવનથ ડે સ્કૂલમાં જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે તેના માટે પણ કોઈ મંજૂરી લેવામાં આવી નથી ત્યારબાદ ઇમ્પેક્ટ ફીમાં મંજૂર કરાવવામાં આવ્યું છે. જેના કારણે આ થતા તેમને નોટિસ પાઠવીને ખુલાસો કરવા જણાવવામાં આવ્યું છે. જો 21 નવેમ્બરના રોજ સેવન્થ ડે સ્કૂલના સત્તાધિશો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ સમક્ષ જો કોઈ જવાબ રજૂ કરવામાં નહીં આવે અને આ શરતોના ભંગ બદલ જવાબ આપવા માંગતા નથી તેમ સમજીને શરત ભંગ બદલ પ્લોટની ફાળવણી અને ભાડા પટ્ટા નો કરાર રદ કરવામાં આવશે.
મુળીના ભવાનીગઢમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ:રૂ. 1.48 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી ફરાર
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં નદી કિનારેથી ગેરકાયદેસર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઈ છે. સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા દરોડા પાડી રૂ. 1,48,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં 300 લિટર દેશી દારૂ અને 3500 લિટર આથો મળી આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચનાથી જિલ્લામાં પ્રોહીબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા અને ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાના માર્ગદર્શન હેઠળ LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમોએ આ કાર્યવાહી હાથ ધરી હતી. ચોક્કસ બાતમીના આધારે, ભવાનીગઢ ગામની સીમમાં મફાભાઈની વાડી પાસે ખરાબામાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 300 લિટર દેશી દારૂ (કિંમત રૂ. 60,000), 3500 લિટર દેશી દારૂ બનાવવાનો આથો (કિંમત રૂ. 87,500) અને પાંચ પતરાના બેરલ (કિંમત રૂ. 1,000) સહિત કુલ રૂ. 1,48,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં નવલભાઈ રણછોડભાઈ દેકાવડીયા (રહે. ભવાનીગઢ, તા. મુળી) નામના આરોપીને પકડવાનો બાકી છે. પોલીસે આરોપી વિરુદ્ધ મુળી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમા, પો.હેડ કોન્સ. મુન્નાભાઈ રાઠોડ, પો.હેડ કોન્સ. દેવરાજભાઈ જોગરાજીયા, પો.કોન્સ. કૃણાલસિંહ ઝાલા, પો.કોન્સ. ભરતભાઈ સભાડ, પો.કોન્સ. મેહુલભાઈ મકવાણા અને ડ્રા.એ.એસ.આઈ. અનિરુદ્ધસિંહ ઝાલા સહિતના સ્ટાફ જોડાયો હતો.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે એક ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શરૂ થતા જ વહેલી સવારે જ આદિવાસી સમાજના ભાઈઓ- બહેનો ટોળે વળીને સ્થળ પર ઉમટી પડ્યા હતા. નેત્રંગના મુખ્ય મેદાનમાં આયોજિત આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકોની હાજરી રહી હતી,જેમાં ઉત્સાહ, ઉજવણી અને આદિવાસી સંસ્કૃતિનું અનોખું સંગમ જોવા મળ્યો હતો. ચૈતર વસાવાએ એકતા અને પ્રગતિનો સંદેશ આપ્યોઆગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો હતો.ખાસ કરીને ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય યુવા નેતા ચૈતર વસાવા સમગ્ર કાર્યક્રમમાં કેન્દ્રસ્થાને રહ્યા હતા. તેમણે ભગવાન બિરસા મુંડાના 150 જન્મ જયંતિની શુભેરછાઓ આપી તેમના વિચારો અને આદિવાસી સમાજ માટે કરેલા અવિસ્મરણીય સંઘર્ષની યાદ તાજી કરાવતા ભાવનાત્મક શબ્દોમાં સંબોધન કર્યું. સાથે સાથે સમાજના યુવાનોમાં શિક્ષણ,સશક્તિકરણ અને સંસ્કૃતિ જાળવવા માટે એકતા અને પ્રગતિનો સંદેશ આપ્યો હતો. અનેક આગેવાનોની હાજરી રહીકાર્યક્રમમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, લોકસભાના પૂર્વ ઉમેદવાર શેરખાન પઠાણ,વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા,વાલિયાના આગેવાન રજની વસાવા સહિતના અનેક આગેવાનોની હાજરી રહી હતી.તમામે ભગવાન બિરસા મુંડાના જીવનસંદેશ અને આદિવાસી સમાજના હક્ક-અધિકાર માટેની તેમની લડતને યાદ કરતાં સમાજને સશક્ત બનાવવા માટેના પોતાના વિચારો રજૂ કર્યા. ડેડીયાપાડામાં PM મોદીનો કાર્યક્રમબીજી તરફ,આજે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેડીયાપાડા ખાતે રાષ્ટ્રીય સ્તરે ઉજવાયેલા બિરસા મુંડાની 150મી જન્મજયંતિના કાર્યક્રમમાં હાજરી આપતા દેશવ્યાપી આદિવાસી વિકાસ કાર્યક્રમો અંગે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.વડાપ્રધાનની હાજરી અને બીજી તરફ નેત્રંગ ખાતે યોજાયેલા આ વિશાળ સમારોહ વચ્ચેનો સંયોગ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બનેલો હતો. કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની મહિલાઓ અને યુવાનોની વિશાળ હાજરીએ પણ સમાજમાં બિરસા મુંડાના પ્રેરણાદાયી વિચારોનો ઊંડો પ્રભાવ સાબિત કર્યો. આ સમગ્ર આયોજનના માધ્યમથી આદિવાસી સમાજએ બિરસા મુંડાના ત્યાગ, સંસ્કૃતિ અને પરંપરાઓને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન ચૈતર વસાવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા SIRની કામગીરી પ્રગતિમાં છે, ત્યારે શહેર-જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રિડેવલપમેન્ટ, ડિમોલિશન અથવા અન્ય કોઈ કારણસર સ્થળાંતર કરનારા તેમજ એ સિવાયના તમામ મતદારો માટે જિલ્લાના તમામ 5524 મતદાન મથકો ખાતે 15, 16 અને 22, 23 નવેમ્બરના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 1 ડિસેમ્બર સુધીમાં BLO ઘરે–ઘરે જઈને મતદારોને યુનિક ફોર્મ આપશેત્યારે આજે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં BLO પોતાની કામગીરી કરવા પહોંચ્યા હતા. ત્યારે SIRની પ્રક્રિયા અંગે જિલ્લા કલેકટર સુજિત કુમારે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે 1 ડિસેમ્બર સુધીમાં કુલ 5524 જેટલા BLO ઘર–ઘર જઈને મતદારોને યુનિક ફોર્મ આપશે. દરેક ફોર્મમાં મતદારોની પ્રાથમિક માહિતી પહેલેથી જ લખેલી હશે, જ્યારે બાકી વિગતો મતદારોને જાતે જ પૂરી પાડવાની રહેશે. 2002ની મતદાર યાદી સર્ચ કરવાનું સરળ બને તે માટે નવી પ્રક્રિયાઆ પ્રક્રિયામાં મતદારોને કોઈપણ પ્રકારના પુરાવાની જરૂર નહીં પડે. BLO ને સંબંધીત કામગીરી માટે સંપૂર્ણ તાલીમ આપવામાં આવી છે અને જરૂરી હોય તો મતદારો ફોર્મ નંબર 6, 7 અને 8 પણ મેળવી શકશે. 2002ની મતદાર યાદી સર્ચ કરવાનું સરળ બને તે માટે નવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં માત્ર ત્રણ શબ્દો દાખલ કરતાં જ માહિતી મળી શકશે. જોકે, BLOને 2002ની સંપૂર્ણ યાદી આપવામાં નહીં આવે, પરંતુ તેમના વિસ્તારમાંની યાદી જ આપવામાં આવી છે. 2002ની યાદીમાં નામ હશે તો પ્રાથમિક રીતે તે યથાવત્ રહેશે, પરંતુ બાદમાં તેવા લોકો પાસેથી સત્તાવાર ફોર્મ માંગવામાં આવશે. મતદાર યાદીમાં નામ યથાવત્ રાખવા માટે ફોર્મ ભરવું ફરજિયાતમતદાર યાદીમાં નામ યથાવત્ રાખવા માટે ફોર્મ ભરવું ફરજિયાત ગણવામાં આવ્યું છે. જો કોઈ મતદાર ફોર્મ સબમિટ નહીં કરે તો બાદમાં નિયમ મુજબના 12 પુરાવામાંથી કોઈપણ પુરાવો આપવો ફરજિયાત બની જશે. 7 ફેબ્રુઆરીએ અંતિમ મતદાર યાદી જાહેર થશેઆ સમગ્ર અભિયાન 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. ત્યારબાદ 4 થી 9 ડિસેમ્બર દરમિયાન ડ્રાફ્ટ રોલની પ્રક્રિયા હાથ ધરાશે. 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી વિવિધ ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલશે, જ્યારે 9 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધી નોટિસનો તબક્કો રહેશે. અંતે 7 ફેબ્રુઆરીએ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા મૃતક વ્યક્તિઓના નામ મોટી સંખ્યામાં દૂર થશે અને મતદાર યાદી વધુ વ્યવસ્થિત બનેલી જોવા મળશે.
અમદાવાદના બોડકદેવમાં રહેતા વેપારી અને તેમના પિતા પાસેથી પૂર્વ કર્મચારીએ નવો ધંધો શરૂ કરવા અને રોકાણ કરી નફો આપવા લાખો રૂપિયા લીધા હતા. જેમાંથી કેટલીક રકમ પરત આપી હતી, પરંતુ 60 લાખ પરત આપ્યા નહોતા. પૂર્વ કર્મચારીએ 10 મહિના સુધી પૈસા પરત ન આપતા વેપારીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશન પૂર્વ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બોડકદેવમાં રહેતા પ્રતીક શાહ કેમિકલનો ધંધો કરે છે. અગાઉ તેમના ભાઈ અને પિતા પણ કેમિકલનો ધંધો કરતા હતા. વર્ષ 2023માં પ્રતિકભાઇના પિતા બિપીનચંદ્રનું અવસાન થયું હતું. પ્રતીકભાઇની કંપનીમાં વર્ષ 1990 થી 2020 સુધી મનીષ મહેતા નોકરી કરતો હતો. 2022માં મનીષે પોતાનો ધંધો શરૂ કરવા અને ધંધામાં રોકાણ કરી નફો આપવા માટે પ્રતિકભાઇના પિતાને જણાવ્યું હતું. શરૂઆતમાં 19 લાખ આપ્યા હતા. જે બાદ 1.03 કરોડ અને 11 લાખ આપ્યા હતા. મનીષે આ પૈસાથી કેમિકલનો ધંધો પણ શરૂ કર્યો હતો. મનીષે ટુકડે ટુકડે પૈસા પરત આપ્યા હતા. બિપીનભાઈનું અવસાન થયું ત્યારે 48 લાખ લેવાના બાકી હતી. જોકે મનીષે 48 લાખ બાબતે સ્ટેમ્પ પેપર પર લખાણ પણ કરી આપ્યું હતું. મનીષ પર વિશ્વાસ કરીને પ્રતિકભાઇએ 12 લાખ આપ્યા હતા. કુલ 60 લાખ મનીષ પાસેથી લેવાના હતા, પરંતુ મનીષ માત્ર વાયદાઓ જ કરતો હતો. મનીષે લાંબા સમય સુધી પૈસા ન આપતા પ્રતિકભાઈએ મનીષ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ચકચારી દુષ્કર્મ કેસમાં ઉદ્યોગપતિ વિશાલ મહેન્દ્રભાઈ મોદીની આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. આ નિર્ણયથી આરોપીની ધરપકડનો માર્ગ મોકળો થયો છે. જામનગરના બેડેશ્વરમાં જનક ઓઇલ મિલ એન્ડ એક્સપોર્ટ ચલાવતા વિશાલ મોદી સામે એક મહિલાએ બળાત્કાર અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ આરોપી વિશાલ મોદી ધરપકડથી બચવા માટે જામનગર છોડીને નાસી છૂટ્યો હતો. છેલ્લા 15 દિવસથી ફરાર રહેલા આરોપીએ ધરપકડ ટાળવા માટે જામનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. આ જામીન અરજીનો ભોગ બનનાર મહિલાએ તેમના એડવોકેટ દિનેશભાઈ વિરાણી મારફતે કોર્ટમાં સખત વિરોધ કર્યો હતો. વકીલે દલીલ કરી હતી કે આરોપી સામે ગંભીર ગુનો છે અને તેની પાસેથી ભોગ બનનારના વીડિયો, ફોટા વગેરે કબજે કરવાના બાકી છે. ઉપરાંત, પોલીસ કસ્ટડી દરમિયાન દુષ્કર્મનું સ્થળ શોધવાનું પણ બાકી છે. એડવોકેટે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ પણ રજૂ કર્યા હતા. તમામ દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ કોર્ટે ઉદ્યોગપતિ વિશાલ મહેન્દ્રભાઈ મોદીની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. આ નિર્ણયથી પોલીસ માટે આરોપીની ધરપકડ કરવાનો માર્ગ સ્પષ્ટ થયો છે.
અમરેલી તાલુકાના વડેરા ગામમાં મોડી રાત્રે એક વન્યપ્રાણીએ પશુપાલકના વાડામાં હુમલો કરતાં 10 ઘેટાંના મોત થયા છે. જેના કારણે માલધારી પરિવારને આશરે 1 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ ભાવેશભાઈ ભરવાડના વાડામાં વન્યપ્રાણી વાડામાં ઘૂસ્યું હતું. હુમલા દરમિયાન બે ઘેટાંનું મારણ કરવામાં આવ્યું હતું, જ્યારે અન્ય ઘેટાં ભય અને ગભરાટને કારણે જીવ ગુમાવી બેઠા હતા. 10 જેટલા ઘેટાંના મોત થયાપશુપાલક ભાવેશભાઈ ભરવાડના જણાવ્યા અનુસાર, રાત્રે 10 વાગ્યે વન્યપ્રાણીઓ આવ્યું હતું. જેણે બચ્ચા અને મોટા ઘેટાંને મારી નાખ્યા. અંદાજે 10 જેટલા ઘેટાંના મોત થયા છે. જેનાથી અમને આશરે એક લાખ રૂપિયાનું નુકસાન થયું છે. વનવિભાગ સહાય આપી મદદ કરે તેવી અમારી અપેક્ષા છે. વનવિભાગને દીપડો હોવાની આશંકાઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. વનવિભાગને દીપડો હોવાની આશંકા છે અને તેના સગડના આધારે લોકેશન મેળવવા માટે કાર્યવાહી ચાલી રહી છે. અમરેલી જિલ્લાના રેવન્યુ અને ગ્રામ્ય વિસ્તારોમાં સિંહો અને દીપડા દ્વારા પશુઓના મારણની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વ્યાપી છે.
દાહોદ જિલ્લામાં નિવૃત આંગણવાડી કાર્યકરો અને તેડાગરના બાકી ગ્રેજ્યુઇટી ચુકવણાં ઝડપથી પૂર્ણ કરવા માટે જિલ્લા તંત્ર દ્વારા ખાસ ઝુંબેશનું આયોજન કરાયું છે. આ બે દિવસીય ઝુંબેશ 18 અને 19 નવેમ્બર, 2025 ના રોજ યોજાશે. આ ઝુંબેશ અંતર્ગત મંગળવાર અને બુધવારે સવારે 10:30 થી સાંજે 5:00 વાગ્યા સુધી ગ્રેજ્યુઇટી ચુકવણાં સંબંધિત અરજીઓ સ્વીકારવામાં આવશે. આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા આ ચુકવણાં ઝડપી બનાવવા પ્રયાસો થઈ રહ્યા છે. જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે તમામ નિવૃત આંગણવાડી કાર્યકરો અને તેડાગરને વિનંતી કરી છે કે જેમના ગ્રેજ્યુઇટીના ચુકવણાં બાકી હોય, તેઓએ જરૂરી દસ્તાવેજો સાથે નિર્ધારિત દિવસે કેમ્પમાં ફરજિયાત હાજર રહેવું. અરજીઓ કરતી વખતે નિમણૂક હુકમ અથવા તાલીમનું પ્રમાણપત્ર, નિવૃત્તિ હુકમ, છેલ્લા પગારની વિગત અથવા બેંક પાસબુક સ્ટેટમેન્ટ, આધાર કાર્ડ તેમજ પાંચ પાસપોર્ટ સાઇઝના ફોટા લાવવાના રહેશે. જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલી આ વિશેષ ઝુંબેશનો મુખ્ય હેતુ વર્ષોથી બાકી રહેલા ગ્રેજ્યુઇટી ચુકવણાંને સરળ અને ઝડપી રીતે પૂર્ણ કરવાનો છે. આનાથી તમામ પાત્ર નિવૃત કર્મચારીઓને સમયસર લાભ મળી રહેશે.
વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે, ત્યારે 14 નવેમ્બરની રાત્રે વધુ એક ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ચાલકે પૂરપાટ ઝડપે બાઈક હંકારી રોડ ક્રોસ કરતા યુવકને ટક્કર મારી 10 ફૂટ ઢસડ્યો હતો. આ દરમિયાન રસ્તા પર બાઈક ઘસડાતા તણખા પણ ઉડતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈ માંજલપુર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બાઈકની ટક્કરે રોડ ક્રોસ કરતા UPના યુવકનું મોતશહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા રેસ્ટોરન્ટમાં કામ કરતો બિપિન ગૌતમ (ઉ.વ. 28) તુલસીધામ ચાર રસ્તાથી કબીર કોમ્પ્લેક્સ તરફ જતો રોડ કરી રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા પૂરપાટ ઝડપે આવતા બાઈકચાલકે તેને ટક્કર મારી હતી. જેને લઈને ગંભીર ઈજાઓ પહોંચતા બિપિનને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નીપજ્યું છે. જોકે, અકસ્માત કરનાર યુવકને પણ ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. તો બીજી તરફ યુવકને ટક્કર મારનાર બાઈકચાલકના સંબંધીઓ મોડી રાત્રે રેસ્ટોરન્ટ આગળથી બાઈક લઈને ફરાર થઈ ગયા હતા. અકસ્માત કરનાર યુવક કોણ છે અને ક્યાં સારવાર લઈ રહ્યો છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. 'ઇજાગ્રસ્ત હોવા છતાં વાતચીત કરતો હતો': મુકેશભાઈ માખીજાનીઆ ઘટના અંગે દુકાનના માલિક મુકેશભાઈ માખીજાનીએ જણાવ્યું હતું કે, હું પંજાબી ઝાયકા નામની રેસ્ટોરન્ટ ચલાવવું છું અને આ જે બનાવ બન્યો છે તે મારો કારીગર હતો. એ રસ્તો ક્રોસ કરીને એના સંબંધીઓને લેવા જતો હતો અને અકસ્માતના લીધે તેનું મોત થયું છે. ઇજાગ્રસ્ત હોવા છતાં વાતચીત કરતો હતો અને દવાખાને લાવ્યા ત્યાં ટ્રીટમેન્ટ થાય એ પહેલાં મોત થયું છે. પીએમ કર્યા બાદ જે છોકરાએ અકસ્માત કર્યો તેના ઉપર કાર્યવાહી થાય અને મૃતકને ન્યાય મળે તેવી માગ છે. 'નાના બાળકો અને પત્ની છે સંભાળ કોણ રાખશે?': શિવમ ગૌતમઆ અંગે મૃતકના મિત્ર શિવમ ગૌતમે જણાવ્યું હતું કે, અમે લોકો ઉત્તર પ્રદેશના કાનપુરના રહેવાસી છીએ અને વડોદરામાં આવીને કામ કરીએ છીએ. મૃતક છોકરાનું નામ બિપિનકુમાર છે. તે મારો મિત્ર છે. 14 નવેમ્બરની રાત્રે 10 વાગ્યાની આસપાસ તેને અહીં એક બાઈકે ટક્કર મારી હતી. બાઈકચાલકે અકસ્માત કર્યાના થોડા સમય પછી પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામાં આવી હતી અને ત્યાં રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ પોલીસ હજુ સુધી પહોંચી નથી. આ ઘટનામાં બેદરકારી બાઈકચાલકની છે કે તે આટલી ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો. 'અમને ન્યાય જોઇએ છે, તેના ઘરમાં કોઈ કમાનાર નથી'વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તમે CCTVમાં જોશો તો બાઈક પણ સ્પીડમાં દેખાતી નથી. અમે બાઈક ચલાવીએ છીએ પણ આપણે એ જોવું જોઇએ કે કોણ આવે છે.. કોણ જાય છે. તેણે જોરદાર ટક્કર મારી છે છતાં હજુ સુધી પોલીસે કાર્યવાહી કરી નથી. અમે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ કાનપુર લઈ જઈશું. પરંતુ પોલીસે હજુ સુધી કોઇ કાર્યવાહી કરી નથી. હજુ સુધી પોસ્ટમોર્ટમ થયું નથી. આજે 12 વાગ્યા છે, બીજો દિવસ છે છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. તેના પરિવાર માટે કંઈક મળવું જોઇએ. તેના ઘરમાં કોઈ કમાનાર નથી. તેનો 25થી 30 હજાર પગાર હતો. 'યુવકના પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે': એલ.ડી. ગમારા આ અકસ્માત અંગે માંજલપુર પોલીસ સ્ટેશનના PI એલ.ડી. ગમારાએ જણાવ્યું હતું કે, આ અકસ્માત અંગે અમે ગુનો નોંધ્યો છે. આ અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું છે તે અંગે કાર્યવાહી ચાલી રહી છે. હાલમાં યુવકનું પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી ચાલી રહી છે. અકસ્માત સર્જનાર ચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે.
સાબરકાંઠા સંકલન સમિતિની બેઠક યોજાઈ:ધારાસભ્યએ ખેડૂતોના નુકસાન સહિતના પ્રશ્નો રજૂ કર્યા
હિંમતનગરમાં કલેક્ટર કચેરી ખાતે સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંઘ સાંદુની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ બેઠકમાં જનસામાન્યને લગતા અનેક પ્રશ્નો રજૂ કર્યા હતા. તેમણે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અને તેના વળતર અંગે ચર્ચા કરી. આ ઉપરાંત, ધારાસભ્યએ નેશનલ હાઈવે અને સર્વિસ રોડ, નગરપાલિકા વિસ્તારમાં રોડ રિસરફેસિંગ, ગટરલાઈન, સ્વચ્છતા, ઓવરબ્રિજ, રેલવે બ્રિજ અને અંડરગ્રાઉન્ડ વીજ લાઈનની કામગીરી ક્યારે પૂર્ણ થશે તે અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. મેડી ટિંબા માધ્યમિક શાળાની જમીન અને સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ભરવાની કામગીરીનો મુદ્દો પણ રજૂ કરાયો હતો. પદાધિકારીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના અમલીકરણ અધિકારીઓએ જવાબ આપ્યા હતા. સંકલન બેઠકના ભાગ-૨ માં આગામી સમયમાં યોજાનાર યુનિટી માર્ચની ઉજવણી અંગે અમલીકરણ અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.પી. પાટીદાર, તમામ પ્રાંત અધિકારીઓ સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વ ડાયાબિટીસ દિવસ પર ગઈકાલે(14 નવેમ્બરે) અમદાવાદમાં થયેલા આરોગ્ય સ્ક્રીનિંગ અભિયાનના આંકડાઓએ જાહેર આરોગ્ય ક્ષેત્રે ગંભીર ચિંતા જગાવી છે. બિનચેપી રોગો (Non-Communicable Diseases - NCDs) ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરનો આંકડો ખૂબ જ વધારે જોવા મળ્યો છે. અમદાવાદમાં કુલ 103 જગ્યાઓ પર સૌ પ્રથમ વાર એટલું મોટું આયોજન કરીને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એ સિવાય અનેક એસોસિએશન દ્વારા ફ્રી સુગર અને બીપી ચેકઅપનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દર 3 લોકોમાંથી 1 ડાયાબિટીસથી પીડિતઆ સ્ક્રીનિંગમાં અમદાવાદના કુલ 2221 દર્દીઓએ આ સ્ક્રીનીંગનો લાભ લીધો હતો. જેમાંથી 644 લોકોને બ્લડ સુગર વધેલું મળ્યું. આ કુલ સ્ક્રીન થયેલા લોકોમાં લગભગ 29% જેટલું પ્રમાણ છે. ચિંતાજનક વાત એ છે કે, આ આંકડો દર્શાવે છે કે દર ત્રણમાંથી લગભગ એક વ્યક્તિનું શુગર લેવલ વધેલું હતું. નિષ્ણાતોના મતે, આ પરિણામો ધરાવતા લોકોએ નિયમિત ડાયાબિટીસ ચેકઅપ કરાવવું જોઈએ. હાઇપરટેન્શન ભલે સાઇલેન્ટ હોય, પરંતુ તે ખૂબ જોખમીબ્લડ પ્રેશરની વાત કરીએ તો, કુલ 2221 લોકોમાંથી 772 લોકોમાં બ્લડ પ્રેશર વધેલું નોંધાયું છે. આ લગભગ 35% જેટલું મોટું પ્રમાણ છે. એટલે કે, દર ત્રણમાંથી એક કરતાં વધુ વ્યક્તિ હાઇપરટેન્શન સાથે જીવી રહી છે. હાઇપરટેન્શન એ હૃદયરોગ, સ્ટ્રોક અને કિડની રોગ માટેનું એક મોટું જોખમી પરિબળ છે. આ ડેટા સ્પષ્ટ કરે છે કે હાઇપરટેન્શન ભલે સાઇલેન્ટ હોય, પરંતુ તે ખૂબ જોખમી છે. NCD બીમારીઓ અંગે માસ સ્ક્રીનિંગઆ અભિયાન દ્વારા અમદાવાદમાં વધતી NCD બીમારીઓ અંગે માસ સ્ક્રીનિંગનું મહત્વ જાણી શકાયું. ઘણા લોકોનું નિદાન કદાચ આ અભિયાન દરમિયાન પ્રથમવાર થયું હોઈ શકે છે. નિયમિત શુગર અને BP ચેકઅપ હવે જરૂરી છે. આહાર અને જીવનશૈલીમાં યોગ્ય ફેરફારો, બગીચાઓ, ક્લિનિક અને AMC સેન્ટરો પર પ્રાથમિક સ્તરે સ્ક્રીનિંગ વધુ મજબૂત બનાવવું જોઈએ. આ શરૂઆતના સંકેતો દ્વારા હૃદયરોગ, સ્ટ્રોક, કિડની ફેલ્યર અને દ્રષ્ટિ ગુમાવવાની ગંભીર સમસ્યાઓને અટકાવી શકાય તેમ છે.
ગોધરા જિલ્લા પંચાયત ભવનમાં એક કર્મચારી લિફ્ટમાં ફસાઈ જવાની ઘટના બની હતી. આરોગ્ય શાખામાં ફરજ બજાવતા ઠાકોર જશવંતસિંહ બળવંતસિંહ બે કલાક સુધી લિફ્ટમાં ફસાયા હતા, જેમને ગોધરા ફાયર બ્રિગેડે સમયસર પહોંચી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ઠાકોર જશવંતસિંહ બીજા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવવા માટે લિફ્ટનો ઉપયોગ કરી રહ્યા હતા. અચાનક લિફ્ટની સ્વીચ બંધ થઈ જતાં તેઓ અંદર ફસાઈ ગયા હતા. લિફ્ટમાં ફસાયા બાદ જશવંતસિંહે તાત્કાલિક પોતાના અધિકારીઓને જાણ કરી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓએ તરત જ ગોધરા ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરી હતી. માહિતી મળતા જ ગોધરા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ લિફ્ટનો દરવાજો ખોલીને ઠાકોર જશવંતસિંહને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ઘટનાને કારણે થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી, પરંતુ કર્મચારીના સુરક્ષિત બહાર આવતા સૌએ રાહત અનુભવી હતી.
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર ગોરવા મધુનગર ચાર રસ્તાથી કેનાલ તરફ નડતરરૂપ દબાણો પર પાલિકાનું બુલડોઝર ફરીવડ્યું હતું. અહીંયા આવેલા કાચા પાકા અને નડતરરૂપ 35 જેટલા યુનિટી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા હતા. મધુનગર ચાર રસ્તાથી કેનાલ તરફ જતો ટીપી 55એ 24 મીટરના રોડને ખુલ્લો કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં ઠેક ઠેકાણે જ્યાં જુઓ ત્યાં કાચા પાકા દબાણો જોવા મળી રહ્યા છે. જેના કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા વધી છે. ક્યારેક સરકારી મિલકતો અને રોડની જગ્યાએ પર અનેક દબાણો જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન પાર્કિંગ અને અન્ય સમસ્યાઓ સર્જાઈ છે. ત્યારે આજે કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ મધુનગર ચાર રસ્તાથી કેનાલ તરફના માર્ગને પોલીસની હાજરીમાં ખુલ્લો કર્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોરવા મધુનગર ચાર રાતથી કેનાલ તરફ જતો ટીપી 55-એ માંથી 24 મીટર રોડ લાઈન પસાર થાય છે, પરંતુ આ વિસ્તારમાં અનેક કાચા પાકા અને પતરાવાળા મકાનો ગેરકાયદે બની ગયા હોવાની વિગતો બહાર આવી હતી. જેથી પાલિકા તંત્ર દ્વારા આ ગેરકાયદે બાંધકામો દૂર કરવા દબાણ શાખાને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આજે આ અસરકારક કાર્યવાહી કરવામાં આવી હતી. દબાણ શાખાની ટીમ દ્વારા ગેરકાયદે બનેલા 35 જેટલા કાચા પાકા અને પતરાવાળા મકાનો ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, વીજ નિગમનો સ્ટાફ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ઉપસ્થિતિમાં હટાવવાની કાર્યવાહી દબાણ શાખા દ્વારા શરૂ કરાઈ હતી. આ કાર્યવાહીમાં બુલડોઝર અને ડોઝરનો ઉપયોગ દબાણ શાખા દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા. પરંતુ પોલીસ કાફલાએ લોકોને આ કાર્યવાહી સ્થળેથી દૂર ખસેડ્યા હતા. આ સ્થળે કોઈ આકસ્મિક કે અઘટિત ઘટના ન સર્જાય તે માટે ફાયર વિભાગની ટીમ પણ જોવા મળી હતી. સાથે વીજ કંપનીના સ્ટાફ દ્વારા તમામ કાચા પાકા અને છાપરાવાળા ગેરકાયદે મકાનોના યેનકેન મેળવાયેલા વીજ કનેક્શન દબાણ શાખાની કાર્યવાહી અગાઉ જ કાપી નાખવામાં આવ્યા હતા.
અમદાવાદના એસજી હાઈવે પર આવેલી નિરમા મના કર્મચારીએ 5 કરોડની ઉચાપત કરી છે. જે વિધાર્થીઓના બુક રિફંડના નાણાં પેટે વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવ્યા હતાં. આરોપીએ પોતાના મિત્ર અને સંબંધીઓના ખાતામાં ટૂકડે ટૂકડે બે વર્ષમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં. નિરમા યુનિવર્સિટીએ સોલા પોલીસ સ્ટેશનમાં કર્મચારી સહિત 7 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. કર્મચારીએ ટુકડે ટુકડે 5 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યાનિરમા યુનિવર્સિટીના વિધાર્થીઓએ બુક્સ માટે એડવાસ રૂપિયા આપ્યા હતા, જે અભ્યાસના અંતે પરત આપવાના હતાં. નિરમા યુનિવર્સિટીના કર્મચારીએ પોતાના મિત્રો અને સબંધીઓને વિધાર્થીઓ તરીકે બતાવી તેમના ખાતામાં ટુકડે ટુકડે 5 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા છે. આ અંગે યુનિવર્સિટીને જાણ થતા કર્મચારી વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુનિવર્સિટી દ્વારા પ્રકાશ ઠાકોરની નિમણૂકને કરોડો ખંખેર્યાગોતામાં રહેતા નિકુંજ પટેલ નિરમા યુનિવર્સિટીમાં મેનેજમેન્ટ વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે.નિરમા યુનિવર્સિટીમાં વિવિધ એક્ટિવિટી ચાલી રહી છે.આ એક્ટિવિટી અનુસંધાને મેનેજમેન્ટ અને કોમર્સના એજ્યુકેશનના કોર્સના બુક્સ માટે એડવાન્સ રૂપિયા વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક લેવાના હોય છે. પૈસા માટે યુનિવર્સિટી દ્વારા ત્રણ અલગ અલગ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા છે. પૈસા રિફંડ ચૂકવવા માટે પણ કમિટીના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. કમિટીના સભ્યો પૈકી બે સભ્યોની સહીથી ખાતામાંથી રૂપિયાની ચુકવણી થાય છે. આ ખાતાનું મેનેજમેન્ટ કરવા માટે યુનિવર્સિટી દ્વારા પ્રકાશ ઠાકોર નામના નિમણૂક કરવામાં આવી હતી. સ્ટુડન્ટ એક્ટિવિટીના પૈસા પોતાના અંગત કામ માટે ઉપયોગમાં લીધા10 સપ્ટેમ્બરના રોજ વાર્ષિક ઓડિટ કરાવવાનું હતું ત્યારે પ્રકાશ ઠાકોરને હાજર રહેવા જણાવ્યું હતું, પરંતુ તે ઓડિટર પાસે જતો નહોતો અને હાજર પણ રહેતો ન હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, તેણે સ્ટુડન્ટ એક્ટિવિટીના પૈસા પોતાના અંગત કામ માટે ઉપયોગમાં લીધા છે. રૂપિયા મિત્ર અને સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કર્યાજેથી યુનિવર્સિટી દ્વારા તપાસ કરવામાં આવી હતી. યુનિવર્સિટીની તપાસમાં જાણવા મળ્યું હતું કે, પ્રકાશ ઠાકોરે તેના મિત્રો અને ઓળખીતા નિકેતન, હર્ષિલ લહેરી, નંદકિશોર, મહેશ છાપ્યા, જૈનમ વીરા અને રોહિત ઠાકોરના એકાઉન્ટમાં યુનિવર્સિટીના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આરોપીએ નવા એકાઉન્ટ લાવીને કમિશન આપવાનું કહ્યુંઆ ઉપરાંત તેણે તમામ વ્યક્તિઓને પણ અન્ય વ્યક્તિઓના એકાઉન્ટ આપવાનું કહીને તેમને કમિશન આપવાનું જણાવ્યું હતું. જેથી અન્ય ખાતા પણ આવતા પ્રકાશ ઠાકોરે તેના મિત્રો પરિચિત અને સંબંધીઓના ખાતામાં બે વર્ષમાં 5 કરોડ જેટલી રકમ ટ્રાન્સફર કરી હતી. યુનિવર્સિટીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીનિરમા યુનિવર્સિટીમાં તેના મિત્રો, પરિચિત અને સંબંધોના ખાતા વિદ્યાર્થીઓના ખાતા તરીકે બતાવીને રિફંડના નાણાં પરત આપવાનું જણાવી કમિટીના સભ્યોની સહી પણ મેળવી લીધી હતી.આમ બે વર્ષમાં ટુકડે ટુકડે 5 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસે પ્રકાશ ઠાકોર અને તેના અન્ય છ સાથીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદના SG હાઈવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રાજપથ રંગોલી રોડ પાસે 14 નવેમ્બરની મોડીરાતે બાઇક પર જઈ રહેલા બે હોમ ગાર્ડ જવાનને પૂર ઝડપે આવતા કારચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતથી બન્ને હોમગાર્ડ બાઇક સાથે રોડ પર પટકાતા એકને ગંભીર ઈજા પહોંચી છે. બાઈકને ટક્કર માર્યા બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોના જણાવ્યાં મુજબ, આ કારના ચાલકે આગળ પણ ત્રણ લોકોને અડફેટે લીધા હતાં. હાલમાં સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપી નશાની હાલતમાં હતો કે કેમ? સહિતની દિશામાં તપાસ શરૂ કરી છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન મંજૂરહુસેન અને તનવીર શેખ બાઈક પર સરખેજ પોલીસ સ્ટેશનની ફરજ પર જઈ રહ્યા હતાં. આ સમયે રાજપથ રંગોલી રોડ પર પૂરઝડપે એસ. પી. રિંગ રોડ તરફથી આવી રહેલી કારે પાછળથી તેઓની બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇકચાલક હોમગાર્ડ જવાન મંજૂરહુસેન અને તનવીર શેખ નીચે પડ્યા હતા. બુમાબુમ કરતા નજીકના પોઇન્ટ પર ઊભેલા પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા અને બંને હોમગાર્ડને 108 દ્વારા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. અકસ્માતમાં તનવીર શેખને ગંભીર ઇજા પહોંચી છે, જેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અકસ્માત કરનાર કારચાલક નશાની હાલતમાં હતો, જે રસ્તામાં 3 શ્રમિકને અડફેટે લઈને આવ્યો હતો. જે બાદ બીજો અકસ્માત સર્જ્યો હતો. સરખેજ પોલીસે અકસ્માત કરનાર કારચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નવસારીમાં 55 કરોડથી વધુના ખર્ચે બનેલું અદ્યતન ઓડિટોરિયમ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈ-લોકાર્પણથી ખુલ્લું મુકાશે. દેડિયાપાડાથી વડાપ્રધાનના હસ્તે આ પ્રકલ્પનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જે શહેર માટે એક નવું નજરાણું બનશે. નિર્માણ કાર્ય અઢી મહિના પહેલા જ પૂર્ણ થઈ ગયું હતુંઆ ભવ્ય ઓડિટોરિયમનું નિર્માણ અઢી મહિના પહેલા જ પૂર્ણ થઈ ગયું હતું. જોકે, કેટલાક કારણોસર તેનું લોકાર્પણ તાત્કાલિક થઈ શક્યું ન હતું. હવે વડાપ્રધાનના કાર્યક્રમ સાથે તેને સત્તાવાર રીતે જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવશે. બેન્ક્વેટ-કોન્ફરન્સ હોલ જેવી સુવિધાઓ ઉપલ્પધ આ અદ્યતન ઓડિટોરિયમમાં 800 બેઠકોની ક્ષમતા ધરાવતો મુખ્ય હોલ છે. આ ઉપરાંત, તેમાં બેન્ક્વેટ હોલ અને કોન્ફરન્સ હોલ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ પ્રકલ્પમાં અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગ અને સીસીટીવી કેમેરા જેવી ટેકનોલોજી પણ સ્થાપિત કરવામાં આવી છે. શહેરમાં તીઘરા રોડ વિસ્તાર નજીક આ ઓડિટોરિયમનું આયોજન પાલિકાના સમયથી કરવામાં આવ્યું હતું અને તેનું કામ પણ તે સમયે શરૂ થયું હતું.
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા પેટલાદ તાલુકાના ધર્મજ ગામ ખાતે નવી પેટા વિભાગીય કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે આ કચેરી કાર્યરત થઈ છે, જેનાથી આસપાસના 20 ગામોના આશરે 25 હજાર લોકોને વીજ સંબંધિત સેવાઓનો લાભ મળશે. આ કચેરી કાર્યરત થવાથી વીજ બિલની ફરિયાદો, નવા વીજ કનેક્શનની અરજીઓ અને લાઈન રિપેરિંગ જેવા કાર્યોનો ઝડપી નિકાલ થશે. સ્થાનિક ગ્રાહકો ધર્મજ ખાતે જ તેમના વીજ બિલ ભરી શકશે, જેનાથી તેમને સમય અને શ્રમની બચત થશે. મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, ધર્મજ ખાતેની MGVCL પેટા વિભાગીય કચેરીમાં નાયબ કાર્યપાલક ઇજનેર સહિત કુલ 50 કર્મચારીઓનો સ્ટાફ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કચેરીથી પેટલાદ ગ્રામ્ય વિસ્તારના 14 ગામો, સોજીત્રા તાલુકાનું 1 ગામ અને તારાપુર તાલુકાના 5 ગામો સહિત કુલ 20 ગામોના લોકોને સીધો ફાયદો થશે. અગાઉ આ 20 ગામના 25 હજાર જેટલા વીજ ગ્રાહકોને વીજ સંબંધિત કામકાજ માટે પેટલાદ જવું પડતું હતું. જોકે, હવે ધર્મજ ખાતે જ તમામ વીજ સેવાઓ ઉપલબ્ધ બનશે, જેનાથી ગ્રાહકોને ઘણી રાહત મળશે. આ પ્રસંગે રાજ્ય નાણાં મંત્રી કમલેશભાઈ પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ, સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, જિલ્લા અગ્રણી સંજયભાઈ સહિત અનેક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ જૈન મંડળ સંચાલિત બી.ડી. સાર્વજનિક વિદ્યાલય, પાટણમાં 'સ્વદેશીથી સ્વાવલંબન ગ્રામજીવન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન અને ગુજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં જીવનમૂલ્યોનું સિંચન કરી સ્વદેશી વસ્તુઓના ઉપયોગ દ્વારા ભારતને વિશ્વ ગુરુ બનાવવાનો હતો. આ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠના પ્રાધ્યાપક કૌશિકભાઈ પટેલે જીવનમૂલ્યો, વિદ્યાપીઠનું યોગદાન અને દરેક ભારતીય નાગરિક માટે સ્વદેશીથી સ્વાવલંબનના મહત્વ વિશે વક્તવ્ય આપ્યું હતું.ભરતભાઈ ચૌધરીએ વંદેમાતરમના 150 વર્ષ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે તેમના જીવન વ્યવહારને બાળકો સમક્ષ રજૂ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાપીઠ દ્વારા સ્વદેશી વસ્તુઓ અંગે એક વિડિયો ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વંદેમાતરમ ગીત પણ વિડિયો સાથે પ્રસ્તુત કરાયું હતું. ઉપસ્થિત સૌએ ભારતની વસ્તુઓને પ્રાધાન્ય આપવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભુપેન્દ્રભાઈ પટેલ, કેતનભાઈ પટેલ અને પ્રો. ડૉ. દીપુબા દેવડા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સ્વાગત ડૉ. બી.આર. દેસાઈએ કર્યું હતું અને સંચાલન ડૉ. ઓ.બી. દેસાઈએ સંભાળ્યું હતું. શાળાનો તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા. ડૉ. યશવંતભાઈ ઝવેરીએ કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવી અને સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં વ્યાજખોરના આતંકની ફરિયાદ નોંધાઈ છે. મણીનગરમાં રહેતા પરિવારે પરિચિત વ્યક્તિ પાસેથી 3.57 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે 10.96 લાખ થઈ ચૂકવી દીધા છતાં વ્યાજખોર દ્વારા ઘરમાંથી બળજબરીથી બાઇક લઈ જઈને લેવામાં આવ્યું હતું. ધાકધમકી આપીને વધુ નાણાંની માગણી કરવામાં આવતી હતી. પરિવાર એટલા હદે કંટાળી ગયો હતો કે ઘરમાં હોય ત્યારે ઘરની બહાર લોક મારીને ઘરમાં રહેતા હતા.આ અંગે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. યુવકે 10 હજારે વ્યાજે લીધામળતી વિગત અનુસાર, મણિનગરમાં રહેતા પિનાકીન માસ્ટર સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. 10 વર્ષ અગાઉ તેમના પતિ ડેનિયલ માસ્ટરનો વ્યાજનો ધંધો કરતા કિશોર થદાની સાથે સંપર્ક થયો હતો. 10 વર્ષ પહેલાં તેમના પતિએ કિશોર પાસેથી 10,000 વ્યાજ લીધા હતા જે સમયસર ચૂકવી દીધા હતા. 3.57 લાખની સામે 10.96 લાખ વ્યાજ સહિત ચૂકવ્યાત્યારબાદ જેમ જેમ પૈસાની જરૂર પડતી તેમ ડેનિયલભાઈ કિશોર પાસેથી વ્યાજે પૈસા લેતા હતા. 3 નવેમ્બર 2022થી 5 સપ્ટેમ્બર 2024 સુધીમાં કિશોર પાસેથી તેમણે 3.57 લાખ રૂપિયા લીધા હતાં. જેમાં 10% વ્યાજ આપવાનું હતું. ડેનિયલ ભાઈએ અને તેમના પત્નીએ ટુકડે ટુકડે 3.57 લાખ રૂપિયાની સામે 10.96 લાખ ચૂકવી દીધા હતા. વ્યાજખોરનો ત્રાસ, બાઈક બળજબરીપૂર્વક લઈ લીધુંકિશોરે ડેનિયલ ભાઈના દીકરાની બાઈક પણ બળજબરીપૂર્વક લઈ લીધું હતું. કિશોરે ધમકી આપી હતી કે તમે રૂપિયા નહીં આપો તો બાઈક અને તમારું મકાન વેચાવડાવી મારા રૂપિયા વસૂલ કરીશ. કિશોર સતત ઊઘરાણી કરતો હતો. જેના કારણે પરિવાર જ્યારે ઘરમાં હોય ત્યારે બહાર તાળું મારીને ઘરમાં રહેતા હતા.વ્યાજખોરના ત્રણથી કંટાળીને ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા કિશોર થદાની વિરુદ્ધ ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
રાહે સ્કૂલમાં ચિલ્ડ્રન્સ ડેની ઉજવણી:શિક્ષકોએ બાળકોને ચોકલેટ-બિસ્કિટ આપ્યા
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી રાહે પબ્લિક સ્કૂલમાં આજે ચિલ્ડ્રન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના શિક્ષકો દ્વારા બાળકોને ચોકલેટ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મહેશ્વરી મેડિકલ એસોસિએશને વર્લ્ડ ડાયાબિટીસ ડે ઉજવ્યો:અમદાવાદમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન
મહેશ્વરી મેડિકલ એસોસિએશન દ્વારા અમદાવાદના ઘોડાસર સ્થિત જોગર પાર્ક ખાતે વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરાયું હતું.
શેલા સ્થિત શાંતિ એશિયાટિક સ્કૂલમાં ચિલ્ડ્રન્સ ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં NEP અને CBSEની માર્ગદર્શિકા અનુસાર 'બેગ-લેસ ડે'નો સમાવેશ કરવામાં આવ્યો હતઆ પ્રસંગે વિવિધ આકર્ષક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. જેમાં રમતગમત, ઇન્ટરેક્ટિવ વિષય-આધારિત સત્રો, માટીકામ અને વર્ગખંડના શિક્ષકો દ્વારા પ્રદર્શન દર્શાવતા 'હેપ્પી અવર્સ'નો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો, જેણે વિદ્યાર્થીઓને એક અનોખો અને સમૃદ્ધ અનુભવ પ્રદાન કર્યો. વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.કેટલાક વર્ગોમાં વાલીઓને ખાસ મહેમાનો તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમણે વિદ્યાર્થીઓ સાથે જ્ઞાનના વ્યવહારુ પાસાઓ શેર કર્યા હતા. જ્યારે ધોરણ એક થી પાંચ સુધીના વિદ્યાર્થીઓએ મેજિક શોનો ભરપૂર આનંદ માણ્યો હતો.
મહેસાણા જિલ્લામાં વાહન હંકારવા ના તમામ પ્રકારના નીતિનિયમો નેવે મૂકી બેફામ વાહનો ચલાવતા વાહનચાલકોને નિયંત્રણમાં લેવા મહેસાણા આરટીઓ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા નિયત કરેલા નિયમોમાં વાહનોમાં ઓવર લોડ, ઓવર ડાયમન્સ, ટેક્ષ ભર્યા વિના, ફિટનેસ વિનાના, ઓવર સ્પીડ, પરમીટ વિનાના અને વાહનોના જરૂરી દસ્તાવેજ ના હોય તો પણ વાહનો ચાલતા હોય એવા તમામ વાહનો સામે મહેસાણા જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગે દંડનીય કાર્યવાહી કરી છે. 4,954 વાહનચાલકોને 1.25 કરોડનો દંડછેલ્લા ત્રણ માસથી મહેસાણા જિલ્લા વાહન વ્યવહાર વિભાગે બેફામ વાહનચાલકો સામે દંડનીય કડક કાર્યવાહી વધારી દીધી છે. ત્રણ માસથી દંડનીય કડક કાર્યવાહીના પગલે મહેસાણા આરટીઓ વિભાગની આવક જે ત્રણ માસ અગાઉ 2021 વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી 67.71 લાખ દંડ વસુલ્યો હતો. પણ આરટીઓ વિભાગની કડક કાર્યવાહીના પગલે ત્રણ માસ બાદ એક માસમાં 4,954 વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરતા 1.25 કરોડની આવક નોંધાઈ છે.આમ મહેસાણા આરટીઓ વિભાગ ની કડક દંડનીય કાર્યવાહી ના ત્રણ માસ માં 100 ટકા વધારો નોંધાયો છે. 'હેવી કોમર્શિયલ વ્હીકલો પર વધુ કાર્યવાહી'સ્વપ્નિલ પટેલ આરટીઓ ઓફિસરએ જણાવ્યું કે, મોટાભાગે હેવી કોમર્શિયલ વ્હીકલોની અંદર જે દસ્તાવેજો વિનાના વાહનો હોય ઘણી વખતે પરમિટ ભંગ હોય, ફિટનેસ ના હોય, તો એવા જે વાહનો છે એની ઉપર દંડનીય કાર્યવાહી થઈ છે. સામે ઓવરલોડ અને ઓવર ડાયમેન્શન વ્હીકલો હોય છે એની ઉપર પણ કાર્યવાહી વધારવામાં આવી છે. મેમોની સંખ્યા વધીને હાલ 5000 સુધી પહોંચીજો ડેટા જોવા જઈએ તો છેલ્લા છ માસની અંદર આ કામગીરીમાં ઉત્તરોત્તર વધારો થઈ અને જે પહેલાના મહિનાઓમાં આના જે દંડના આંકડા જોઈએ તો જે દંડના આંકડા 60-70 લાખ સુધી માસિક જતા હતા એ હાલ સવા કરોડથી ઉપર પહોંચ્યા છે. સામે મેમાની વિગતો જોઈએ તો મેમા દર માસ પહેલા 2000-2500 સુધી મેમા આવતા હતા, જે મેમાની સંખ્યા વધીને હાલ 5000 સુધી પહોંચી છે. 'જે સ્પીડના મેમો મહિને 300 બનતા હતા, એ હાલ 1300 સુધી પહોંચ્યા'આરટીઓ ઓફિસરએ વધુમાં જણાવ્યું કે, દંડનીય કાર્યવાહી વધવાનું કારણ એ છે કે ઓફેન્સિવ વ્હીકલોની સાથે સાથે અમે રોડ સેફ્ટીના ગુનાઓ ઉપર પણ ફોકસ કરીએ છીએ. કેમકે જિલ્લાની અંદર ઉત્તરોત્તર અકસ્માતો વધતા જાય છે. એમાં પણ જોવા જઈએ તો બ્લેક સ્પોટની વિઝિટો જે અમે સમયસર કરીએ છીએ એની અંદર એવા કારણો મળે છે કે લોકો ઓવર સ્પીડના કારણે વધારે એ ઓફેન્સ વધારે કરતા હોય છે. અને એમાં પણ જે અત્યારનો ઊંઝા હાઇવે છે, એ રોડ સિક્સ લેન હોવાથી ત્યાં લોકોની સ્પીડ વધારે જોવા મળે છે. મોટા ભાગના બ્લેક સ્પોટ પણ એ વિસ્તારમાં જોવા મળે છે. એટલે એ રોડ ઉપર અમારું એન્ફોર્સમેન્ટ વધ્યું છે. પહેલાના સમયમાં જે સ્પીડના મેમા મહિને 300 બનતા હતા, એ હાલ 1300 સુધી પહોંચ્યા છે.
બાલ દિવસ નિમિત્તે બીપીનચંદ્ર પાલ પ્રાથમિક શાળા ક્રમાંક 199 ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબ દ્વારા શાળાના તમામ બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું હતું. બાળકોએ ઉત્સાહભેર આ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.કાર્યક્રમના સમાપ્તિ બાદ, તમામ બાળકોને આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી બાળકોમાં ખુશી જોવા મળી હતી.
પાટણમાં આઇકોનિક બસ સ્ટેશન શરૂ થવાની તૈયારી:રૂટ પરના લારી-ગલ્લા અને વાહનોના દબાણો હટાવાયા
પાટણ શહેરનું નવું આઇકોનિક બસ સ્ટેશન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. મુસાફરોની અવરજવર સરળ બને અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી, પાટણ નગરપાલિકા અને સિટી ટ્રાફિક પોલીસે બસ સ્ટેશનના રૂટ પરના દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે. આધુનિક બસ સ્ટેશનના લોકાર્પણ પૂર્વે, બસની અવરજવરના મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર સરળતાથી થઈ શકે તે સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. નગરપાલિકાના અધિકારીઓ અને સિટી ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. બસ સ્ટેશન તરફ જતા માર્ગો પર છેલ્લા ઘણા સમયથી લારી-ગલ્લા અને અન્ય પથારાવાળાઓએ દબાણ કરીને ટ્રાફિકમાં અવરોધ ઊભો કર્યો હતો. આ દબાણોના કારણે બસ અને અન્ય વાહનોની અવરજવર મુશ્કેલ બની રહી હતી, જેનાથી લોકોને અગવડતા પડતી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને, નગરપાલિકાની ટીમે ટ્રાફિક પોલીસના સહયોગથી બસ સ્ટેશનના રૂટ પરના તમામ દબાણો હટાવ્યા હતા. આ કાર્યવાહીમાં માર્ગોની બંને બાજુએ અનધિકૃત રીતે ગોઠવાયેલા લારી-ગલ્લા, દૂર કરવામાં આવ્યા હતા તો પતરાના શેડ અન્ય દબાણકર્તા વસ્તુઓ દૂર કરવામાં સૂચના અપાઈ હતી. નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે દબાણમુક્ત થયેલા વિસ્તારમાં ફરીથી કોઈ દબાણ ન થાય તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે.
ભાવનગર ગુરુકુળમાં બાળ દિનની ઉજવણી:9000 વિદ્યાર્થીઓને ભોજન કરાવાયું, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
14 નવેમ્બરના રોજ સમગ્ર ભારતમાં બાળ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાવનગરના સરદારનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પણ બાળ દિનની ઉજવણી કરવામાં આવી. ઉજવણીના ભાગરૂપે ધોરણ 5 થી 9ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં નાટક, કથ્થક, ગીત રચના અને બાળ દિન પર ભાષણનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, શાળાના પટાંગણમાં બાલમંદિરથી લઈને ધોરણ 12 સુધીના કુલ નવ હજાર વિદ્યાર્થીઓને ભોજન કરાવવામાં આવ્યું હતું.શાળાના સંચાલક કે. પી. સ્વામી અને આચાર્ય મહેન્દ્રભાઈ માથોળીયાએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
ટાગોર સ્મૃતિ વિદ્યાલય માં ધોરણ 9ની કન્યાઓને સાઇકલ વિતરણ:સરસ્વતી સાધના યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો
હિરાવાડીની ટાગોર સ્મૃતિ વિદ્યાલય (પ્રેરણા સ્કૂલ)ખાતે સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9માં અભ્યાસ કરતી કન્યાઓને સાઇકલનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીઓ, આચાર્યા અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. દીકરીઓને સાઇકલ અર્પણ કરીને તેમને ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે શુભાશિષ પાઠવવામાં આવ્યા હતા.
જીસીએસ હોસ્પિટલે અમદાવાદમાં બાળ દિવસ ઉજવ્યો:વિવિધ વેશભૂષા અને મનોરંજક રમતોનું આયોજન કરાયું
અમદાવાદની જીસીએસ હોસ્પિટલના બાળરોગ વિભાગ દ્વારા બાળ દિવસ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળરોગ વિભાગના વડા ડૉ. પ્રાર્થના ખારોડ પટેલના માર્ગદર્શન હેઠળ અને સમગ્ર બાળરોગ વિભાગની ડૉક્ટર્સ ટીમ તથા નર્સિંગ સ્ટાફના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. આ કાર્યક્રમમાં લગભગ ૩૦૦ જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકો વિવિધ પ્રેરણાદાયક અને રાષ્ટ્રીય પાત્રો જેવા કે પોલીસમેન, ભારત માતા, ચંદ્રશેખર આઝાદ, મહાત્મા ગાંધી, ભગતસિંહ, જવાહરલાલ નેહરુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ડૉક્ટર, પાયલોટ, આર્મી ઓફિસર અને શ્રીકૃષ્ણના વેશમાં સજ્જ થઈને આવ્યા હતા. બાળકોની આ પ્રસ્તુતિએ કાર્યક્રમમાં અનેરો રંગ ભર્યો હતો. ઉજવણીને વધુ રસપ્રદ બનાવવા માટે મ્યુઝિકલ ચેર, રિંગ ગેમ, બોલ-ઇન-દ-બાસ્કેટ, પઝલ ગેમ્સ, ડાન્સ પ્રવૃત્તિ અને મિની ટેલેન્ટ પ્રેઝન્ટેશન જેવી વિવિધ મનોરંજક રમતોનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત, પેઇન્ટિંગ, ડ્રોઇંગ અને કલરિંગ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પણ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હોસ્પિટલનું વાતાવરણ બાળકોના હાસ્ય અને આનંદથી ગુંજી ઉઠ્યું હતું. માતા-પિતાઓ દ્વારા પણ આ કાર્યક્રમને ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો અને બાળકો માટે જીસીએસ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે, બાળકોને ગીફ્ટ, સ્વીટ્સ અને રિફ્રેશમેન્ટનું વિતરણ કરીને દિવસને વધુ યાદગાર બનાવવામાં આવ્યો હતો. જીસીએસ હોસ્પિટલ દ્વારા દર વર્ષે બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ બાળકોના સ્વાસ્થ્ય, આનંદ, આત્મવિશ્વાસ અને સર્જનાત્મક વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે. આ વર્ષની ઉજવણી પણ 'કેર બિયોન્ડ ક્યોર' (Care Beyond Cure) ના સિદ્ધાંતને પ્રતિબિંબિત કરતી હતી.
ઈડરના ઉમેદપુરામાં ભેંસ કૂવામાં પડી, રેસ્ક્યુ કરાયુ:એક કલાકની જહેમત બાદ ફાયર ટીમે જીવિત બહાર કાઢી
ઈડર તાલુકાના ઉમેદપુરા ગામે ગત રાત્રિએ કૂવામાં પડી ગયેલી એક ભેંસને ફાયર વિભાગની ટીમે સફળતાપૂર્વક બચાવી લીધી હતી. આશરે એક કલાકની જહેમત બાદ ભેંસને જીવિત બહાર કાઢવામાં આવી હતી. ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, ઉમેદપુરા ગામના બાબરભાઈ જીવાભાઈ રબારીની ભેંસો ચરવા ગઈ હતી. તે દરમિયાન એક ભેંસ ખેતર નજીક આવેલા ઝાડી-ઝાંખરાવાળા કૂવામાં પડી ગઈ હતી. સાંજે પશુઓ ઘરે પાછા ફર્યા ત્યારે એક ભેંસ ઓછી જણાતા પશુપાલકે તેની શોધખોળ શરૂ કરી. તપાસ દરમિયાન, ઝાડી-ઝાંખરાથી ઢંકાયેલા કૂવામાં ભેંસ પડેલી જોવા મળી. આ કૂવામાં પાણી પણ હતું. તાત્કાલિક ક્રેન બોલાવવામાં આવી અને ઈડર ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી. ફાયર ટીમે ક્રેનની મદદથી આશરે 50 ફૂટથી વધુ ઊંડા કૂવામાંથી ભેંસને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી.
દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટ વચ્ચે સુરતના સિંગણપોરના હરિદર્શનનાં ખાડા વિસ્તારમાંથી બાઈક પર જઈ રહેલાં ત્રણ યુવકે ભયનો માહોલ સજર્યો હતો. વચ્ચેના યુવક પાસે કારતૂસના સેટ સાથે AK-47 જેવી દેખાતી બંદૂકથી રાહદારીઓમાં આતંક જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. પોલીસે ત્રણેયની અટકાયત કરી પૂછપરછ કરતા યુવકો શોબાજી કરવા નીકળ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણેય યુવકને કાન પકડાવી માફી માંગવી હતી. બાઈકમાં વચ્ચે બેસેલાં પાસે કારતૂસના સેટ સાથેની બંદૂક હતી મળતી માહિતી પ્રમાણે, સિંગણપોર પોલીસ પાસે ગતરોજ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં હરિદર્શનનો ખાડો વિસ્તારમાંથી એક બાઈક પસાર થઈ રહી હતી, જેની પર ત્રણ યુવક બેઠા હતા. બાઇક સવાર ત્રણ પૈકી વચ્ચે બેસેલાં એક યુવકે લાંબી એ.કે. 47 જેવી દેખાતી બંદૂક પકડી હતી. બંદૂકની ઉપરનાં ભાગે કારતૂસનો સેટ પણ હતો. ઠંડા કલેજે પસાર થઈ રહેલાં આ યુવકોને જોઈ ત્યાંથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોમાં ભય જોવા મળ્યો હતો. પોલીસે બાઈક નંબરના આધારે ત્રણેયની દબોચી લીધાખાસ કરીને તાજેતરમાં દિલ્હી થયેલાં બોમ્બ બ્લાસ્ટે દેશ આખામાં આતંકનો ઓથાર સજર્યો છે, ત્યારે બંદૂક જેવું હથિયાર સાથે ખુલ્લામાં ફરતાં આ યુવકોની હરકત લોકોનાં શરીરમાંથી ભયનું લખલખું પસાર કરી દેવા માટે પૂરતી હતી. વીડિયોમાં દેખાતી બાઇક નંબરના આધારે પોલીસે ત્રણેયને દબોચી લીધા હતા. બંદૂક રમકડાની હોવાની પોલીસ સામે કબૂલાતસિંગણપોર, ટેકરા ફળિયામાં રહેતાં હસમુખ કાલીદાસ ઓડ (ઉં.વ.35) તેનો ભાઈ વિક્રમ (ઉં.વ.32) અને મિત્ર રવિ શંકર પગારે (રહે, અંબિકાનગર, પાલનપોર ગામ) સાથે પ્લાસ્ટિકની રમકડાંની બંદૂક લઈ શો બાજી કરવા નીકળ્યા હોવાનું કબુલ્યું હતું. પોલીસે પકડતાં ત્રણેય યુવકે કાન પકડી માફી પણ માંગી હતી. જોકે, પોલીસે આ ત્રણેય વિરૂદ્ધ બી.એન.એસ.ની કલમ 281, 292, 54 અને એમ.વી.એક્ટ 128, 129ની કલમ અંતર્ગત ગુનો નોંધ્યો હતો.
બનાસકાંઠામાં મતદારયાદી સુધારણા માટે વિશેષ કેમ્પ:15, 16, 22 અને 23 નવેમ્બરે BLO મતદાન મથકે હાજર રહેશે
બનાસકાંઠા જિલ્લામાં મતદારયાદીની સઘન સુધારણા ઝુંબેશ ચાલી રહી છે. આ અંતર્ગત, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલ દ્વારા મતદારોને વિશેષ કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ, બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) 15 અને 16 નવેમ્બર તેમજ 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી પોતાના મતદાન મથકો પર હાજર રહેશે. આ ચાર દિવસ દરમિયાન મતદારો જરૂરી કાર્યવાહી કરી શકશે. મતદારો પોતાના ગણતરી પત્રકમાં વર્ષ 2002ની મતદારયાદીમાંથી પોતાની, માતા-પિતા કે દાદા-દાદીની વિગતો ભરી શકશે. બીએલઓની મદદથી તેઓ મતદાન મથક પર વિગતો શોધી શકશે અને નામ ન મળવાના કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તેનું માર્ગદર્શન મેળવી શકશે. મતદારો પોતાનો ફોટો લગાવીને યોગ્ય રીતે ભરેલું ગણતરી પત્રક આ નિર્ધારિત તારીખોએ બીએલઓને જમા કરાવી શકશે. મતદારો બીએલઓનો ફોન દ્વારા સંપર્ક કરવા માટે voters.eci.gov.in વેબસાઇટ પરથી ook a call with BLO વિકલ્પનો ઉપયોગ કરી શકશે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય અને કોઈ પણ અપાત્ર વ્યક્તિ મતદારયાદીમાં સામેલ ન થાય.
વલસાડ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી ઠંડીનો અનુભવ થયો હતો. રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યભરમાં ઠંડીની શરૂઆત થઈ છે, જેના પગલે વલસાડમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઠંડીના પ્રારંભથી સ્થાનિકોએ રાહત અનુભવી હતી. સવારે શહેરના માર્ગો પર નોકરી-ધંધે જતા લોકો સ્વેટર, જાકેટ, મફલર અને ટોપી જેવા ગરમ વસ્ત્રો પહેરેલા જોવા મળ્યા હતા. શહેરમાં મોર્નિંગ વોક અને કસરત કરતા લોકોની સંખ્યામાં પણ વધારો થયો હતો. પારનેરા ડુંગર પર ઠંડા પવનના સુસવાટા અનુભવાયા હતા, જેણે વાતાવરણમાં વધુ ઠંડક ઉમેરી હતી. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડી સાથે હળવા વરસાદની પણ શક્યતા વ્યક્ત કરી છે. વધતી ઠંડીને કારણે વલસાડ જિલ્લાના ખેડૂતો રવિ પાક અને આંબાની સંભાળ કામગીરીમાં વ્યસ્ત બન્યા છે. વલસાડ શહેરમાં ઠંડી વધતા લોકો સવાર-સાંજ ઠંડકનો અનુભવ કરતા જોવા મળી રહ્યા છે.
જોટાણા તાલુકાના મુદરડા ગામે મુળ માલિકની જાણકારી બહાર તેઓની બનાવટી સહીઓ કરીને જમીનનો વેચાણ દસ્તાવેજ કરી દેવાનો ગુનો ત્રણેક વર્ષ પહેલાં લાંઘણજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જેમાં સંડોવાયેલ આરોપીની આગોતરા જામીન અરજી મહેસાણા સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. આરોપીઓએ ખોટી સહી કરી ફરિયાદીની જમીન વેચી મારીમહેસાણા જિલ્લાના જોટાણામાં આવેલ મુદરડા ગામના ફરિયાદી રહીમખાં મહોમદખાં પઠાણની ગામની સીમમાં આવેલી જુનો સર્વે નંબર 486 (1) વાળી આશરે સાડા ચારેક વિઘા જમીન છે. તેઓની જાણ બહાર બારોબાર આરોપી પઠાણ ભીખનખા બાજીતખાંએ તથા તેમના મળતીયાઓએ ભેગા મળીને માલિકની બનાવટી સહીઓ કરી બ્લોક નંબર 520 વાળી જમીન ગઈ 9 મે, 2022ના રોજ વેચાણ દસ્તાવેજ કરી પટેલ અશોકકુમાર રામાભાઈ તથા પટેલ ગોવિંદ ભક્તીભાઈ બન્ને રહે, મુદરડાને રૂપિયા 86 હજારમાં વેચી મારી ગુનો આચર્યો હતો. કોર્ટે આરોપીની આગોતરા જામીનની અરજી ફગાવીઆ અંગે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો. દરમિયાન ધરપકડથી બચવા આ કામના આરોપી ભીખનખાં પઠાણે મહેસાણા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. જેની સુનાવણી સેશન્સ જજ એમ.એફ.ખત્રી સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ પરેશકુમાર કે. દવેએ એફએસએલ રિપોર્ટમાં વેચાણ દસ્તાવેજમાં કરેલી સહી સાથે આરોપીની સહી મળતી આવતી હોવાની તેમજ હાઈકોર્ટમાં કરેલ કવોસિંગ પિટિશન નામંજુર થયેલી હોવા સહિતની કરેલી દલીલોના આધારે અદાલતે આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.
ભાવનગર શહેરમાં લગ્નના દિવસે જ યુવતીની કરપીણ હત્યા થઈ છે. શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આજે સવારે એક યુવતીની છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. મરનાર યુવતીના આજે લગ્ન થવાના હતા. પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક રહેતી હિંમતભાઈ જીવાભાઇ રાઠોડની પુત્રી સોનીબેનની તેના ઘરે જ આજે સવારે છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી આરોપી નાસી છૂટ્યો હતો. આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ યુવતી કોઈ યુવાન સાથે એકલી રહેતી હતી અને આજે તેના લગ્ન પણ થવાના હતા. લગ્ન થાય તે પૂર્વે તેની હત્યા થતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતી એક યુવતીને લગ્નની લાલચ આપીને યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આટલેથી નહીં અટકતા યુવકના મિત્રએ પણ યુવતીને બ્લેકમેઈલ કરીને દુષ્કર્મ કરતો હતો. બે મિત્રો સતત યુવતી પીંખતા અંતે પોતાના પરિવારને જાણ કરી હતી. પરિવારે યુવતીને હિંમત આપતા અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપી કામ અર્થે યુવતીના ઘરે આવતો હતોદાણીલીમડા વિસ્તારમાં રહેતી 24 વર્ષિય યુવતીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં એઝાજ (રહે. દાણીલીમડા) અને આરજુ ઉર્ફે વસિમ વિરૂદ્ધ દુષ્કર્મ ફરિયાદ કરી છે. યુવતી સંયુક્ત પરિવારમાં રહે છે અને ઘરેથી કપડામાં ટીકી સ્ટોન લગાવવાનું કામ કરે છે. યુવતીના ઘરે કપડાના ટીકી સ્ટોનનું કામ આપવા માટે અનવર નામનો યુવક આવે છે. અનવર ઘણા સમયથી આવતો હોવાથી તે યુવતીના પરિવારને સારી રીતે ઓળખે છે. અનવર જ્યારે પણ ઘરે આવે ત્યારે તે યુવતીની દાદીને તેના લગ્નની વાત કરતો હતો. યુવતી માટે લગ્નની વાત હોવાથી તેની દાદીએ ઘરમાં મુલાકાત ગોઠવવાનું નક્કી કર્યુ હતું. લગ્નની વાત બાદ યુવતીને હોટેલમાં લઈ જઈ મરજી વિરૂદ્ધ શરીરસંબંધ બાંધ્યોઅનવર તેમના પરિચિત દિલશાન અને અજાજને આવ્યો હતો. એજાઝની માતાએ દિલશાને યુવતીને પસંદ કરી લીધી હતી, પરંતુ લગ્નની વાત સામાજીક કારણોસર આગણ ચાલી નહીં. બકરી ઈદના ચાર પાંચ દિવસ બાદ એઝાજે યુવતીને ફોન કર્યો હતો અને લગ્ન કરવાની લાલચ આપીને બહાર બોલાવી હતી. એઝાજે યુવતીને બાઈક પર બેસાડીને નારોલની એક હોટલમાં લઈ ગયો હતો, જ્યાં તેની મરજી વિરૂદ્ધ શરીરસંબંધ બાંધ્યો હતો. યુવતીએ સંબંધ બાંધવા માટેની આનાકાની કરતા એઝાજે તેને બદનામ કરી દેવાની ધમકી આપી હતી. એઝાજની ધમકીના કારણે યુવતીએ ઘરના કોઈ સભ્યોને વાત કરી નહીં. અવારનવાર ધમકી આપી યુવતીને મળવા બોલાવતોપંદર દિવસ પહેલા એઝાજે યુવતીને ફોન કરીને મસ્જીદ પાસે મળવા માટે બોલાવી હતી. યુવતીએએ જવાનો ઈન્કાર કરી દેતા એઝાઝે તેને ધમકી આપી હતી. યુવતી બદનામીના ડરથી એઝાજને મળવા માટે ગઈ હતી, જ્યાં તેને બાઈક પર બેસાડીને ફરીથી હોટલમાં લઈ ગયો હતો. હોટલમાં એઝાજે યુવતી સાથે મરજી વિરૂદ્ધ સંબંધ બાંધ્યો હતો. સંબંધ બાધ્યા બાદ એઝાજે યુવતીને કહ્યુ કે, હવે હું તને હેરાન નહીં કરૂ. થોડા દિવસ પહેલા એઝાજે યુવતીને રીવરફ્ન્ટ પર બોલાવી હતી, જેથી તે ત્યાં પહોચી હતી. એઝાજની સાથે તેનો મિત્ર આરજુ પણ હતો. યુવતી આવી ગયા બાદ આરજુ જતો રહ્યો હતો, જ્યારે એઝાજે તેની સાથે સંબંધ બાંધ્યો હતો. થોડા દિવસ પહેલા આરજુએ યુવતીને ફોન કર્યો હતો અને મળવા માટે બોલાવી હતી. યુવકના મિત્રએ પણ ફોટો વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુંયુવતીએ આરજુને મળવાનો ઈન્કાર કરી દેતા તેણે એઝાજ સાથેના ફોટોગ્રાફ્સ વાઈરલ કરી દેવાની ધમકી આપી હતી. આરજુની ધમકીથી ડરીને યુવતી તેને મળવા માટે પહોચી હતી, જ્યા તેને બાઈક પર બેસાડીને જમાલપુર ખાતેની એક હોટલમાં લઈ ગયો હતો. હોટલમાં આરજુએ યુવતી સાથે મરજી વિરૂદ્ધ સંબંધ બાંધ્યા હતા. આરજુ અને એઝાજની બ્લેકમેઈલીંગથી યુવતી કંટાળી ગઈ હતી, જેથી તેણે સમગ્ર હકીકત પોતાના પરિવારને જણાવી હતી. પરિવારે યુવતીને હિંમત આપીને ફરિયાદ કરાવી હતી. દાણીલીમડા પોલીસે સમગ્ર મામલે દુષ્કર્મ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
ખારાઘોઢા ફાયરિંગનો આરોપી એક દિવસના રિમાન્ડ પર:પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કર્યું
દસાડા તાલુકાના ખારાઘોઢા ગામે થયેલા ફાયરિંગ કેસના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. આ ઘટનામાં એક યુવાનને ગોળી વાગતા ઇજા થઈ હતી. ગત 13મી તારીખે સવારે ખારાઘોઢા ગામના સલીમભાઈ સીકંદરભાઈ કાદી પર દેગામના શખ્સ સીરાઝખાન ભાણજીખાન મલેકે ફાયરિંગ કર્યું હતું. સલીમભાઈને પેટ અને સાથળના ભાગે છરા વાગતા તેમને વિરમગામની શિવ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ તપાસ મુજબ, આ ફાયરિંગ આજથી છ મહિના પહેલા સલીમભાઈના માતા અને પડોશમાં રહેતી મહિલા વચ્ચે શાકભાજી લેવા બાબતે થયેલી બોલાચાલીના મનદુઃખને કારણે થયું હતું. ઘટનાના દિવસે સીરાઝખાને સલીમભાઈને ધમકી આપી હતી કે, તારી મમ્મીને સમજાવી દેજે કે, તે મહિલા મારી મિત્ર છે, તેનું નામ ન લે, નહીંતર તમને બધાને જાનથી મારી નાખીશ. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા જ પાટડી પીઆઈ બી.સી. છત્રાલીયા અને તેમની ટીમે ગણતરીના કલાકોમાં આરોપી સીરાઝખાન મલેકને પાટણ જિલ્લાની બાસપા ચોકડી પાસેથી ગુરુવારે મોડી સાંજે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ તેણે કઈ રીતે ફાયરિંગ કર્યું તેનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચમાં ભાજપનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ:ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે વિવિધ વોર્ડમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત નગર સેવા સદનના વોર્ડ નંબર 3, 4, 5 અને 6 માટેનું સ્નેહમિલન જૂની મામલતદાર કચેરી નજીક આવેલા સંકટમોચન હનુમાન મંદિરના પટાંગણમાં યોજાયું હતું. આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ઉપરાંત, સ્થાનિક સ્તરે સ્વદેશી ઉત્પાદનોના વધુ ઉપયોગ અને પ્રોત્સાહન અંગે અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએને મળેલા ભવ્ય વિજયની ઉજવણી પણ કરવામાં આવી હતી.
પ્રમાણિકતાની વાત આવે ત્યારે પોલીસતંત્ર પર અનેક સવાલો ઉઠતા હોય છે, પરંતુ ગાંધીનગરના એક પોલીસ પરિવારે કિંમતી વસ્તુઓની લાલચને ત્યજીને ઈમાનદારીનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પોલીસ પરિવારે રસ્તા પરથી આઠેક લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાથી ભરેલું એક પર્સ મૂળ માલિકને પરત કરીને ખરા અર્થમાં પોલીસ પરિવારની છબી ઉજળી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અંધારું થઈ જતાં પર્સ શોધવું મુશ્કેલ હતુંગાંધીનગરના સરગાસણ રહેતા નેહાબેન મોદી તાજેતરમાં ઓફિસથી પરત ઘરે જઈ રહ્યા હતા, એ વખતે આઠેક લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાથી ભરેલું તેમનું પર્સ રસ્તામાં ક્યાંક પડી ગયું હતું. ઘરે સુધી પહોંચ્યા પછી નેહાબેનને પર્સ ક્યાંક પડી ગયાનો ખ્યાલ આવ્યો હતો. શિયાળાની ઋતુમાં સાડા છ વાગ્યા સુધી અંધારું થઈ ગયું હોવાથી પર્સ શોધવું પણ મુશ્કેલ અને પડકારજનક બની ગયું હતું. તેમણે પર્સ શોધવા શહેરના રસ્તાઓ પર ફાંફા મારવાનું શરૂ કરી દીધું હતુ, પરંતુ દાગીના ભરેલું પર્સ ક્યાય મળી રહ્યુ ન હતું અને એટલાં તેમના મોબાઇલની રિંગ વાગે છે. ફોનમાં વાત કરતા મહિલાને શાંતિ મળીએક તરફ લાખોના દાગીના ભરેલું પર્સ મળતું ન્હોતું અને એમાંય અજાણ્યા નંબરથી કોલ આવતા નેહાબેને ફોન રિસિવ કર્યો હતો. સામે પોલીસ જેવી ભાષામાં પર્સ વિશે પૂછતાછ કરવામાં આવી રહી હતી. ધીમે-ધીમે વાતચીત દરમિયાન નેહાબેનની આંખો ચમક વધવાની સાથે અનેરી શાંતિ સલામતીનો અહેસાસ થવા માંડે છે. વાસ્તવમાં એ ફોન મેટ્રો જૂથ-એ કંપની, અમદાવાદમાં ફરજ બજાવતા અને સેકટર 4બી ખાતે રહેતા ASI પ્રેમજીભાઈ ડી. મકવાણાની પત્ની મીનાબેનનો હતો. ASIનાં પત્ની મીનાબેનને પર્સ મળતાં તુરંત પતિને જાણ કરીપ્રેમજીભાઈના પત્ની મીનાબેન મકવાણા 4 સેકટરમાંથી પસાર થઈ રહ્યા હતા. એ દરમ્યાન તેમને પર્સ મળી આવ્યું હતું. જે પર્સ ખોલતા જ મીનાબેનની આંખો પહોળી થઈ ગઈ હતી. કેમ કે, પર્સમાં સોના ચાંદીના દાગીના ભરેલા હતો. આ વાત તુરંત તેમણે તેમના પતિ ASI પ્રેમજીભાઈ ડી. મકવાણાને કરી હતી. બાદમાં મીનાબેને સમય બગાડ્યા વિના પર્સની અંદરથી નેહાબેનનો સંપર્ક નંબર શોધી કાઢ્યો. તેમણે તુરંત જ નેહાબેન મોદીનો સંપર્ક કર્યો અને તેમને પર્સ મળી ગયાની જાણ કરી હતી. આ કિંમતી દાગીનાની સોંપણીની પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે મકવાણા પરિવારે સાવચેતી પણ દાખવી હતી. એટલે પર્સ પરત કરવા તેમણે પોતાના ઘરે જ નેહાબેનને બોલાવ્યા હતાં. આ પર્સની સોંપણી વેળાએ મકવાણા પરિવારના પાડોશી અને ડીજીપી ઓફિસમાં ફરજ બજાવતા પીઆઇ રાહુલભાઈ પટેલને રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રેમજીભાઈએ પોતાના વિભાગના અધિકારી, મેટ્રો જૂથ-એ કંપનીના પીઆઇ બી.બી. શુક્લાને પણ ફોન પર વાતચીત કરીને સમગ્ર બનાવથી વાકેફ કર્યા હતા. ASI પરિવારની પ્રમાણિકતા બદલ તેમનો આભાર માન્યોઆ સઘન વેરિફિકેશન અને સાક્ષીઓની હાજરી બાદ મીનાબેન મકવાણાએ નેહાબેન મોદી અને તેમના પતિ નિશીત મોઢને તેમનું કિંમતી પર્સ સહી-સલામત પરત કર્યું હતું. દાગીના અને રોકડ સહિત તમામ વસ્તુઓ પાછી મળતા નેહાબેન મોદી અને તેમના પરિવારે રાહત અનુભવી અને ASI પરિવારની પ્રમાણિકતા બદલ તેમનો આભાર માન્યો હતો.
રાજકોટ શહેરના નાગેશ્વર વિસ્તારમાં આવેલ એક બિલ્ડીંગ પટાંગણમાં કરુણ ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધમાં પતિ પત્નિ વચ્ચે ઝઘડો થતા દોઢ મહિનાથી ચાલતા તકરારને લઇ આખરે ઉશ્કેરાયેલા પતિએ આજે સવારના સમયે પત્ની યોગમાંથી પરત આવતા એક બિલ્ડિંગના પટાંગણમાં પત્ની ઉપર ફાયરિંગ કરી દીધું હતું અને બાદમાં પોતે જાતે લમણે ગોળી મારી દઈ આત્મહત્યા કરી લીધી છે. કાકી ભત્રીજા વચ્ચે પાંગરેલા પ્રેમ સબંધનો કરુણ અંજામ આવ્યો છે. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પતિએ પોતાની પત્નીને ગોળી મારી ને પોતાના લમણે ગોળી ધરબીને આત્મહત્યા કરી રાજકોટના જામનગર રોડ પર આવેલ નાગેશ્વર વિસ્તારમાં રહેતા અને ચોટીલા આપાગીગા ઓટલા ખાતે સેવક તરીકે કામ કરતા પતિએ આજે સવારના સમયે તેમના ઘરની સામે આવેલ એક બિલ્ડીંગના પટાંગણમાં પોતાની પત્નીને ગોળી મારી દીધા બાદ પોતે પોતાના લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે જાણ થતા ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ તેમજ ડીસીપી ક્રાઇમ ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યાં સ્થળ પરથી પોલીસને 3 કાર્ટીસ મળી આવી હતી. કાકી-ભત્રીજા વચ્ચે પાંગરેલા પ્રેમ સબંધનો કરુણ અંજામપોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના ભત્રીજા સાથે પત્નીને પ્રેમ સબંધ હતો. જેની જાણ થતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને પત્ની ઘર છોડી એક બિલ્ડિંગમાં રહેતી તેની સહેલીના ઘરે રહેવા જતી રહી હતી. દોઢ મહિનાથી પતિ મનાવતા હતા અને પરત ઘરે આવી જવા માટે કહેવામાં આવ્યું હતું. આમ છતાં પત્ની ઘરે પરત ન આવતી હતી આજે સવારે રોષે ભરાયેલ પતિએ પત્ની યોગા કરી પરત આવતા પટાંગણમાં પોતાની પરવાના વાળી રિવોલ્વરથી ફાયરિંગ કરી પત્નીને ગોળી મારી બાદમાં પોતે લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
તાલાલા પાસે નાળામાંથી યુવકની લાશ મળી:હાથમાં ધજા, મૃતક યુવાન જેતપુરનો હોવાની સંભાવના
તાલાલા શહેર નજીક ઉના તરફ જતા ગુંદરણ રોડ પર આવેલા રિલાયન્સ પેટ્રોલપંપ પાસેના જોગીદળ નાળામાંથી આજે સવારે એક યુવકની લાશ મળી આવી હતી. મૃતકના હાથમાં ધજા હતી અને તેની ઓળખ જેતપુરના યુવાન તરીકે થઈ છે. સ્થાનિકોએ પાણીમાં તરતી લાશ જોઈને તાલાલા પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ તાલાલા પોલીસના જમાદાર યાશીનશા સહામદાર અને તેમનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તરવૈયાઓની મદદથી લાશને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકના હાથમાં ધજા જોવા મળી હતી અને તેની સાથે એક બેગ પણ હતી. બેગની તલાશી લેતા તેમાંથી પલળી ગયેલું રેશનકાર્ડ અને આધારકાર્ડની ઝેરોક્ષ કોપી મળી આવી હતી, જેમાં જેતપુરનું સરનામું નોંધાયેલું હતું. પોલીસે મૃતક યુવાનની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. હાથમાં ધજા હોવાથી યુવાન પદયાત્રાએ નીકળ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસ તેમની સંપૂર્ણ ઓળખ મેળવી પરિવારનો સંપર્ક કરવાની કાર્યવાહી કરી રહી છે. સંભવતઃ પદયાત્રી યુવાન પગપાળા ચાલીને જતો હતો અને રસ્તામાં વોકળાના પુલ પાસે આરામ કરવા રોકાયો હતો, ત્યારે અકસ્માતે વોકળામાં પડી ગયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ વિગતો બહાર આવશે.
બોપલ પોલીસે બે સ્થળેથી દારૂ ઝડપ્યો:ઇકો ગાડી અને ભાડાની ઓરડીમાંથી બે આરોપી પકડાયા
બોપલ પોલીસે દારૂબંધીના ભંગ બદલ બે અલગ-અલગ સ્થળોએથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ રૂ. 2,95,565/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રથમ ઘટના ઘુમા ગામમાં સ્કાય ટેલ ફ્લેટ પાછળ બની હતી. પોલીસે એક સફેદ ઇકો ગાડી (રજી.નં. GJ-15-BE-4941) માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 70 બોટલો શોધી કાઢી હતી. આ દારૂની કિંમત રૂ. 58,315/- હતી. પોલીસે દારૂ ઉપરાંત રૂ. 5,000/- નો મોબાઈલ ફોન અને રૂ. 2,00,000/- ની ઇકો ગાડી સહિત કુલ રૂ. 2,63,315/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે ચંદુ લાખો ધનજી ખોખરીયા (રહે. સારોલી ગામ, ગવાર ફળા, તા. મેરવાડા, જી. ઉદયપુર, રાજસ્થાન) નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે. બીજી કાર્યવાહી ઘુમા ગામમાં પ્લેઝર ક્લબ પાસે આવેલ રોખાની ફાર્મની બાજુમાં એક ભાડાની ઓરડીમાં કરવામાં આવી હતી. ત્યાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 48 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 22,250/- હતી. દારૂ સાથે રૂ. 10,000/- ની કિંમતનો એપલ આઇફોન 11 મોડેલનો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 32,250/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઘટનામાં શિવલાલ ઉર્ફે શીવો દિનેશભાઈ કલાસવા (હાલ રહે. ઘુમા ગામ, પ્લેઝર ક્લબ પાસે, લેખાની ફાર્મની બાજુમાં આવેલ ભાડાની ઓરડીમાં, તા. પાટલોડીયા, જી. અમદાવાદ; મૂળ રહે. પિપળાદા ગામ, દક્કિ ફળા, તા. જી. ડુંગરપુર, રાજસ્થાન) ની ધરપકડ કરવામાં આવી છે.
આજે એક એવા બાળકની વાત કરવી છે કે જે ખૂબ જ અદ્ભૂત અને અદ્વિતીય છે. આ બાળક એટલે રાજકોટનો ઉત્તમ મારું. જેનો જન્મ થયો ત્યારે તેને હોઠ, નાક, તાળવું અને આંખ ન હતુ, જેથી તબીબોએ આ બાળક પાછળ હેરાન થવાને બદલે ઇન્જેક્શન મારી શાંત કરી દેવાની સલાહ પરિવારને આપી હતી. પરંતુ ઉત્તમના દાદાએ કહ્યું કે, આ ભગવાનની પ્રસાદી છે, જેથી તેનો આપણે સૌએ મળીને ખૂબ જ સારી રીતે ઉછેર કરવો જોઈએ. જે બાદ દાદા કુંવરજીભાઈ ઉત્તમ સાથે તેનો પડછાયો બનીને રહેવા લાગ્યા. ઉત્તમ માત્ર 5 વર્ષની ઉંમરે ભાગવત ગીતા કંઠસ્થ કરી અને 700 શ્લોક કડકડાટ બોલવા લાગ્યો. જે બાદ યોગ સૂત્ર, નારદભક્તિ સૂત્ર, બ્રહ્મસૂત્ર અને પાણીનીના 4000 સૂત્રો કંઠસ્થ કરવાથી તે સંસ્કૃતમાં પ્રારંભ જ બની ગયો. જે પછી તો ઉત્તમે સંસ્કૃત વિષય સાથે સ્નાતક અને અનુસ્નાતકનો અભ્યાસ કર્યો. જેની સાથે-સાથે અધ્યાપક બનવા માટેની જીસેટ અને નેટની અઘરી પરીક્ષા પાસ કરી. જે બાદ સરકારી કોલેજમાં અધ્યાપક બનવા માટેની જીપીએસસી ક્લાસ- 2 માટેની તૈયારી શરૂ કરી અને તેમાં પ્રથમ પ્રયત્ને સફળતા પ્રાપ્ત કરી. હવે પ્રોફેસર ઉત્તમ મારું વિદ્યાર્થીઓને ભણાવશે. જન્મ સમયે જે બાળકના બચવાના કોઈ ચાન્સ ન હતા તે બાળકે એવી જિંદગી જીવી કે સમાજના તમામ લોકો તેમાંથી પ્રેરણા મેળવી શકે. આજના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ પ્રેરણા સ્ત્રોતનું ખરેખર ઉત્તમ ઉદાહરણ છે. હાલમાં શ્રીમદ્દ ભગવદગીતાના યોગદાન વિષય પર Ph.D કરી રહ્યો છુંઃ ઉત્તમદિવ્ય ભાસ્કરની સાથે વાતચીત કરતા ઉત્તમ મારુંએ જણાવ્યું કે, GPSC ક્લાસ-2માં સંસ્કૃતના પ્રોફેસર તરીકે મારું સિલેક્શન થયું છે. જનરલ નોલેજ, સંસ્કૃત અને બાદમાં ઓરલ પરીક્ષા હતી, જે સફળતાપૂર્વક પાસ કરેલી છે. સૌપ્રથમ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં સંસ્કૃત વિષય સાથે બેચલર ઓફ આર્ટસ કર્યું. જે બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંસ્કૃત ભવનમાં એમ. એ. કર્યું અને હાલ આજ ભવનના પ્રોફેસર અને અધ્યક્ષ ડૉ. રાજા કાથડના માર્ગદર્શનમાં માનવીય સમસ્યાઑના નિર્મૂલનમાં શ્રીમદ્દ ભગવદગીતાનું યોગદાન વિષય પર Ph.D કરી રહ્યો છું. આ સાથે જ જીસેટ અને નેટની પરીક્ષા પાસ કરેલી છે. દિવ્ય ભાસ્કરે જ્યારે સવાલ કર્યો કે, તમે સંસ્કૃત ભવનનાં જ વિદ્યાર્થી હવે પ્રોફેસર બની ગયા છે, તો કેવું લાગી રહ્યું છે? ત્યારે ઉત્તમે જણાવ્યું કે, ખૂબ જ સારું અનુભવું છું. હવે અધ્યાપક તરીકે વિદ્યાર્થીઓને ભણાવવાનું થશે, ત્યારે કોમ્પ્યુટરમાં પીપીટી તૈયાર કર્યા બાદ તેઓને ખૂબ જ સારી રીતે ભણાવીશ. ‘12 ઓપરેશન બાદ બોલતો થયો, કોમ્પ્યુટર ઉપર વાંચવા-લખવાનું શરૂ કર્યું’ઉત્તમ મારૂએ પોતાના જન્મ વિશે વાત કરતાં દિવ્ય ભાસ્કર સમક્ષ જણાવ્યું કે, મારો જન્મ થયો ત્યારે હોઠ, તાળવું, નાક કે આંખ કશું હતું જ નહીં. 12 ઓપરેશન કરાવ્યા બાદ મેં બોલવાનું શરૂ કર્યું. જે પછી વાંચવા અને લખવાનું શરૂ કર્યું. બ્લાઇન્ડ લોકો વાંચી કે લખી ન શકે, પરંતુ મેં કોમ્પ્યુટર ઉપર વાંચવા અને લખવાનું શરૂ કર્યું. જીપીએસસી ક્લાસ-2માં પ્રોફેસર બન્યા બાદ તેઓ અન્ય વિદ્યાર્થીઓને સંદેશો આપતા જણાવે છે કે, વારંવાર કોઈ પણ વસ્તુને સાંભળવી જોઈએ. સાંભળવાથી માર્ગદર્શન મળે છે અને ફાયદો થાય છે. ઉત્તમ 5 વર્ષનો હતો, ત્યારે ગીતાના 700 શ્લોક કંઠસ્થ હતાઃ દાદાઉત્તમ સાથે 24 વર્ષથી પડછાયાની જેમ સાથે રહેતાં અને દરેક મુશ્કેલીમાં સાથ આપનારા તેના દાદા કુંવરજીભાઈએ ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે, ઉત્તમનો જ્યારે જન્મ થયો ત્યારે પરિવારજનોએ કહ્યું કે તેને હોઠ, તાળવું, નાક અને આંખ પણ નથી. તે સમયે મેં કહ્યું કે, આ ભગવાનની પ્રસાદી છે અને ભગવાને આપણી પાસે કંઈક સમજીને જ મોકલ્યું હશે, જેથી આપણે બધાએ સાથે મળીને આ બાળકનો ઉછેર કરવાનો છે. જેથી હું સંપૂર્ણપણે તેની સાથે રહેવા લાગ્યો. તે પાંચ વર્ષનો હતો, ત્યારે ભાગવત ગીતાના 700 શ્લોક કંઠસ્થ હતા. જે બાદ યોગ સૂત્ર, નારદભક્તિ સૂત્ર અને બ્રહ્મસૂત્ર કર્યું અને ત્યારબાદ પાણીનીના 4000 સૂત્રો કંઠસ્થ કર્યા જેનાથી તેની સંસ્કૃત ભાષા પરની પકડ વધુ મજબૂત બની. ઉત્તમનાં પિતાનું નામ જીતેન્દ્રભાઈ અને માતાનું નામ કુંદનબેન છે. ઉત્તમને આટલી મોટી સીધી મળ્યા બદલ તેઓ કહે છે કે, એક યુગ પૂરો થયો તેનો આનંદ થાય છે અને ઉત્તમ હવે પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓને ભણાવશે તેનાથી મને ખૂબ જ માનસિક શાંતિ થઈ છે. ઉત્તમે અહીં પ્રવેશ મેળવ્યો ત્યારથી જ એક પછી એક સિદ્ધિ હાંસલ કરીઃ અધ્યાપક ઉત્તમનાં અધ્યાપક ડૉ. શારદા રાઠોડે જણાવ્યું હતું કે, ઉત્તમ મારુંની આ સિદ્ધિ બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને અનુસ્નાતક સંસ્કૃત ભવન ખૂબ જ ગૌરવની લાગણી અનુભવે છે. ઉત્તમે અહીં માસ્ટર ડિગ્રીમાં પ્રવેશ મેળવ્યો ત્યારથી જ એક પછી એક સિધ્ધિ હાંસલ કરી છે. એમ.એ. ના બીજા વર્ષમાં જ તેને જીસેટની પરીક્ષા પાસ કરી અને ત્યારબાદ નેટની પરીક્ષા પાસ કરી અને હવે તે સરકારી કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર તરીકે જીપીએસસી ક્લાસ-2માં પ્રથમ પ્રયત્ને જ સિલેક્ટ થઈ ગયો છે. તેમની સાથે અન્ય દિવ્યાંગ મંજુલાબેન ગાગરિયા કે જેઓ જામનગરની ગ્રાન્ટેડ કોલેજમાં અધ્યાપક તરીકે પસંદગી પામ્યા છે જે પણ આ ભવન માટે ગૌરવની વાત છે. ‘ભગવાને તેમને ભલે ખોટ આપેલી છે, પરંતુ આવડત ખૂબ જ અદભુત છે’આ ઉપરાંત ઉત્તમની સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થિની શારદા પામકે જણાવ્યું હતું કે, ઉત્તમભાઈ મારા સિનિયર રહી ચૂક્યા છે. ભગવાને તેમને ભલે ખોટ આપેલી છે, પરંતુ તેમની પાસે જે આવડત છે તે ખૂબ જ અદભુત છે. તેમની જ્ઞાન શક્તિ અને સ્મરણ શક્તિ ખૂબ જ સારી છે. ઉત્તમભાઈને શ્રીમદ ભાગવત ગીતા, ઉપનિષદો ઉપરાંત અનેક સ્ત્રોતો કંઠસ્થ છે. તેઓ અમારા માટે પ્રેરણા સ્ત્રોત છે. ઉત્તમના જન્મથી લઈને અત્યાર સુધીની જીવનગાથાઉત્તમનો જન્મ થયો ત્યારે બંને આંખો ન હતી, નાક ન હતું. હોઠ ન હતા, તાળવું ન હતું તેમજ બંને મગજ પણ ક્ષતિગ્રસ્ત હતા. જન્મ સમયે ઉત્તમની આવી સ્થિતિ જોઈને ડોકટરોએ મારૂ પરિવારને એવી સલાહ આપી હતી કે, આ બાળકનું કોઈ ભવિષ્ય દેખાતું નથી. તેઓ પોતે પણ દુઃખી થશે અને પરિવારને પણ દુ:ખી કરશે, જેથી તેને ઇન્જેક્શન આપીને શાંત કરી દેવું જોઈએ. જોકે, ઉત્તમના દાદા કુંવરજીભાઈ મારૂએ ડોકટરોની આ સલાહ ન માની અને ઉત્તમને ભગવાનની ભેટ માનીને સ્વીકાર્યો. પરિવારે ઉત્તમની ખામીઓને બદલે ખૂબીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યુંપરિવારના તમામ સભ્યોને ભેગા કરીને સમજાવ્યું કે, આ બાળકને ભગવાને શું નથી આપ્યું એનો વિચાર કોઈ ન કરતા, પણ શું આપ્યું છે એ જ વિચારજો. આપણે સૌ સાથે મળીને ઉત્તમને સર્વોત્તમ બનાવીશું અને ભગવાન આપણને તેમાં મદદ કરશે. સમયાંતરે ઉત્તમ પર જુદા જુદા 12 મેજર ઓપરેશન કરવામાં આવ્યા. નાક, હોઠ અને તાળવું થોડા સરખા થયા, પરંતુ આંખોની રોશની પરત ન આવી. આમ છતાં પરિવારના સભ્યોએ ઉત્તમની ખામીઓને બદલે ખૂબીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જેનાથી ઉત્તમ સામાન્યમાંથી અસામાન્ય બની ગયો. પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં સામાન્ય વિદ્યાર્થીઓની સાથે અભ્યાસ કર્યોધો.10ની બોર્ડની પરીક્ષામાં ઉત્તમ 80% માર્ક્સ લાવ્યો હતો. પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં તે રાજકોટની સિંહાર સ્કૂલમાં સામાન્ય વિદ્યાર્થીઓની સાથે બેસીને જ અભ્યાસ કરતો હતો. ધો.12 વિનયન પ્રવાહમાં ડીસ્ટિંકશન સાથે ઉત્તમ કરણસિંહજી હાઈસ્કૂલમાં પ્રથમ આવ્યો હતો. ઉત્તમે સંસ્કૃત વિષય સાથે ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી ફર્સ્ટ ક્લાસ સાથે ગ્રેજ્યુએશન કર્યુ અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સંસ્કૃત ભવનમાંથી પ્રથમ વર્ગ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યુ. ઉત્તમે પ્રાધ્યાપક બનવા માટેની 'જીસેટ' અને NET પરીક્ષા પાસ કરી અને હવે તેને સરકારી કોલેજમાં પ્રોફેસર બનવા માટેની GPSCની ક્લાસ-2ની પરીક્ષા પાસ કરી અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી લીધી છે. ઉત્તમ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત એમ ચાર ભાષામાં ટાઈપ કરી શકે છેઉત્તમ આંખોથી જોઈ શકતો નથી, આમ છતાં કમ્પ્યુટર પર પોતાની રીતે પુરી ચોકસાઈથી અને કોઈપણ જાતની ભૂલ વગર બધું કામ કરી શકે છે. ઉત્તમ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત એમ ચાર ભાષામાં ટાઈપ પણ કરી શકે છે. કામ કરવા માટે જે કોઈ સોફ્ટવેરની જરૂર પડે એ પોતાની રીતે જ નેટ પરથી શોધી લે છે. ઉત્તમ યોગા ક્લાસમાં પણ જાય છે અને રોજ સવારે નિયમિત રીતે યોગ તથા પ્રાણાયમ કરે છે. રોજના સૂર્ય નમસ્કારનાં 9 રાઉન્ડ કરે છે, એટલે કે 108 સૂર્યનમસ્કાર રોજ કરે છે. ઉત્તમે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાંથી યોગમાં ડીપ્લોમાં પણ કર્યું છે. ઉત્તમ શાસ્ત્રીય સંગીતનો પણ ગાયક અને જાણકાર, 120થી વધારે શાસ્ત્રીય રાગની સમજતે તબલા, હાર્મોનિયમ અને ગાયનમાં વિશારદ છે. આ ઉપરાંત એ બંસરી, ડ્રમ, ગિટાર, એકોડિયન, માઉથઓર્ગન વગેરે પણ ખુબ સારી રીતે વગાડે છે, સાથે વાદન સંગીતના ક્લાસ પણ ચલાવે છે અને બીજાને શીખવે પણ છે. તે ખુબ સારો ગાયક છે. 25 વનમેન શો કર્યા છે, જેમાં ફિલ્મીગીતો, ભજનો, ગઝલો, ગરબાઓ, લોકગીતો વગેરે ગાય છે. તે સંગીત વિદ્યાલયના નામથી ગાયન ક્લાસ પણ ચલાવે છે. શાસ્ત્રીય સંગીતનો પણ ગાયક અને જાણકાર છે. એને 120થી વધારે શાસ્ત્રીય રાગની સમજ છે. ઉત્તમને અધ્યાયનો નંબર અને શ્લોક નંબર કહો તો તુરંત જ એ શ્લોક બોલેઉત્તમને શ્રીમદ્ ભગવદગીતાના તમામ 700 શ્લોક કંઠસ્થ છે અને કોઈપણ જાતની ભૂલ વગર શુદ્ધ ઉચ્ચાર સાથે બોલે છે. તમે કોઈપણ અધ્યાયનો નંબર અને શ્લોક નંબર કહો તો તુરંત જ એ શ્લોક બોલે છે. ગીતાજીનો કોઈપણ શબ્દ કહો તો એ શબ્દ ક્યા ક્યા અધ્યાયના ક્યા ક્યા શ્લોકમાં છે અને શ્લોકના ક્યાં ચરણમાં ક્યાં ક્રમ પર આવે છે તે પણ કહી શકે છે. મુખ્ય 11 ઉપનિષદો પૈકી ઉત્તમે 10 ઉપનિષદો કંઠસ્થ કરી લીધા છે અને અત્યારે 11મા ઉપનિષદનો અભ્યાસ ચાલુ છે. ઉપનિષદના બધાં જ મંત્રો જે રીતે બોલાવા જોઈએ એ જ રીતે બોલે છે. તેને પાણીનીનાં અષ્ટાધ્યાયનાં 4000 સૂત્રો કંઠસ્થ છે. તેને નારદનું ભક્તિસૂત્ર, પતંજલિનું યોગસૂત્ર તથા બ્રહ્મસૂત્રના 550 સૂત્રો પણ કંઠસ્થ છે. આ ઉપરાંત જુદા-જુદા 60થી વધુ ઓત્ર પણ એને કંઠસ્થ છે. તેને 170થી વધુ ગીતો-ભજનો કંઠસ્થ છે. 25થી વધારે જુદા-જુદા ગરબાઓ પણ કંઠસ્થ છે. દેશનો સર્વોચ્ચ એવોર્ડ 'બાલશ્રી'થી પણ ઉત્તમ સન્માનિતઆ વિશિષ્ઠ બાળકને ઉત્તમને 117 શિલ્ડ, મેડલ અને પુરસ્કારો મળેલા છે. 2011માં ભારત સરકારે બાળકોને આપવામાં આવતા દેશના સર્વોચ્ચ એવોર્ડ 'બાલશ્રી'થી ઉત્તમને સન્માનિત કર્યો છે.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલ વગેરે જેવા અનેક મહાનુભાવોએ ઉત્તમને રૂબરૂ મળીને એની ઉપલબ્ધીઓને બિરદાવી છે તો મહંતસ્વામી મહારાજ અને રામદેવજી મહારાજ જેવા સંતોએ ઉત્તમની સિદ્ધિઓને આશીર્વાદ પણ આપ્યા છે.
અમરેલી જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં રાજ્ય સરકારના ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે અંદાજે કુલ ₹80 કરોડથી વધુના વિવિધ નવીન વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વિકાસકામોમાં રસ્તાઓ, પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ અંતર્ગત અમરેલીના પીપળલગ ખાતે આંકડિયા-પીપળલગ રોડના નવા સ્ટ્રક્ચરના વિકાસકામનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ ઉપરાંત, મોટા આંકડિયા ખાતે અનુસૂચિત જાતિ વિસ્તારને જોડતા રોડ પર ₹40 લાખના ખર્ચે સ્ટ્રક્ચર કામગીરીનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ અંદાજે ₹41 કરોડના ખર્ચે અમરેલી-નાના આંકડીયા-ચિતલ રોડના વાઈડનીંગ અને સ્ટ્રેન્ધનીંગ કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ કામગીરીમાં હયાત રોડને 7 મીટર પહોળો કરવાની અને સીસી રોડ બનાવવાની કામગીરીનો સમાવેશ થાય છે, જે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા ઝડપથી શરૂ કરીને પૂર્ણ કરવામાં આવશે. વધુમાં, અમરેલી-નાના આંકડીયા-ચિતલ રોડ પર અંદાજે ₹4.5 કરોડના ખર્ચે માઈનોર બ્રિજની કન્સ્ટ્રક્શન કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું. તેમણે અમરેલીના પ્રતાપપરા એપ્રોચ રોડના વિકાસકામનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. ચિતલ-રાંઢિયા-લુણીધાર વચ્ચે અંદાજે ₹36 કરોડના ખર્ચે નવો સી.સી. રોડ બનશે, જેમાં હયાત રોડ 7 મીટર પહોળો કરવામાં આવશે, તેનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં વિકાસકામોની યાત્રા અવિરત ચાલુ છે. તેમણે સંબંધિત અધિકારીઓને ગુણવત્તાલક્ષી રીતે અને સમયસર આ તમામ વિકાસકામો પૂર્ણ કરવા માટે સ્થળ પર જ સૂચનાઓ આપી હતી.
પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાને સ્પર્શતા સાત સ્ટેટ હાઈવેના વિસ્તૃતિકરણ માટે રૂ. 858.39 કરોડના ખર્ચને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. આ પ્રોજેક્ટ '12 ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર' હેઠળ હાથ ધરવામાં આવશે. પાટણ જિલ્લામાં ત્રણ રોડનો સમાવેશ થાય છે. વિસલવાસણાથી પાટણ સ્ટેટ હાઈવે (ચેઈનેજ 38/00 થી 56/400) માટે રૂ. 65.40 કરોડ, પાટણ બાયપાસ કનેક્ટિંગ શિહોરી જંકશનથી ઊંઝા રોડ જંકશન (ચેઈનેજ 4.400 થી 10/250 કિ.મી.) માટે રૂ. 99.28 કરોડ, અને શિહોરી-પાટણ રોડ (ચેઈનેજ 9/460 થી 34/00, પાટણથી વાયડ તા. સરસ્વતી) માટે રૂ. 248.71 કરોડનો ખર્ચ થશે. આ રોડને નવેસરથી તૈયાર કરવા માટે સરકારે કેટલીક શરતોને આધીન મંજૂરી આપી છે. મહેસાણા જિલ્લામાં ઊંઝાથી પાટણ વરેચના ઊંઝાથી વિસલવાસણા વચ્ચેના સ્ટેટ હાઈવે માટે રૂ. 37 કરોડ મંજૂર થયા છે. બનાસકાંઠા જિલ્લામાં શિહોરી-પાટણ રોડના વાયડથી શિહોરી માટે રૂ. 80 કરોડ, શિહોરી-દિયોદર સ્ટેટ હાઈવે માટે રૂ. 153 કરોડ, અને દિયોદર-ભાભર સ્ટેટ હાઈવે માટે રૂ. 175 કરોડના ખર્ચને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન, યુટિલિટી શિફ્ટિંગ, ફોરેસ્ટ ક્લિયરન્સ અને સર્વેની કામગીરી હાથ ધરાશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) પણ તૈયાર કરવામાં આવશે. શિહોરી-પાટણ રોડ પર મેજર રિવરબ્રિજ, માઈનોર બ્રિજ, બોક્સ કલ્વર્ટ, સ્લેબ ડ્રેઈન અને પાઈપ કલ્વર્ટ સહિતની માળખાકીય સુવિધાઓનું નિર્માણ પણ કરવામાં આવશે.
પારડી તાલુકાના રાબડી ગામમાં તલવાર વડે કેક કાપવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ પારડી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બે યુવકોને ઝડપી પાડ્યા છે અને તલવાર જપ્ત કરી છે. આ ઘટના જન્મદિનની ઉજવણી દરમિયાન બની હતી. પારડી PI જી.આર. ગઢવીના નેતૃત્વ હેઠળ પારડી પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ASI ચંદુભાઈ સુરપાલભાઈને માહિતી મળી હતી કે વાયરલ વીડિયોમાં દેખાતા યુવકો રાબડી ગામના દેસાઈ ફળિયાના છે. પોલીસે સ્થળ પર તપાસ કરતા ભાવેશ ચંપકભાઈ નાયકા પટેલ (ઉં.વ. 23) મળી આવ્યા હતા. પૂછપરછમાં ભાવેશે 12 માર્ચ, 2025ના રોજ પોતાના જન્મદિવસ નિમિત્તે જાહેર રોડ પર તલવાર વડે કેક કાપ્યાની કબૂલાત કરી હતી. ભાવેશે તલવાર તેના મિત્ર પ્રેમ ધર્મેશભાઈ ધો. પટેલ (ઉં.વ. 19) પાસેથી લીધી હોવાનું જણાવ્યું હતું. પોલીસે પ્રેમકુમારની શોધખોળ કરી તેને પણ ઝડપી પાડ્યો હતો. તેના ઘરમાંથી તલવાર મળી આવી હતી. પંચોની હાજરીમાં તલવારનું પંચનામું કરવામાં આવ્યું હતું. તલવાર લોખંડની, એક ધારવાળી હતી અને તેના પર સિહોરી કી તલવાર ગેરંટી 30 વર્ષ લખેલું હતું. જાહેરમાં તલવાર ફરકાવીને કેક કાપવાથી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થયો હોવાથી, બંને યુવકો વિરુદ્ધ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કચ્છમાં 2.7ની તીવ્રતા ભૂકંપનો આંચકો:ભચાઉ-રાપર વચ્ચે કણખોઈ નજીક કેન્દ્રબિંદુ, લોકોમાં ભયનો માહોલ
કચ્છ જિલ્લામાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભચાઉ અને રાપર વચ્ચે આવેલા કણખોઈ ગામ નજીક 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. સદનસીબે, આ આંચકાની સ્થાનિક સ્તરે કોઈ ખાસ અસર વર્તાઈ નથી અને કોઈ જાનમાલનું નુકસાન થયું હોવાના અહેવાલ નથી. ભૂકંપનો આંચકો વાગડ ફોલ્ટલાઈન પર આવ્યો હતો. 2.7ની તીવ્રતાનો આંચકો સામાન્ય શ્રેણીમાં ગણાય છે, જેના કારણે સામાન્ય રીતે મોટી નુકસાન થતું નથી. જોકે, ધરા ધ્રુજવાની વાતથી લોકોમાં ચિંતાનો માહોલ જરૂર છવાઈ જતો હોય છે. ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલા, ગત 11મી તારીખે રાપરના બેલા નજીક 3.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ આંચકો જમીનથી માત્ર 7 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો અને ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી મશીન પર તેની નોંધ થઈ હતી.
અમરેલી જિલ્લામાં વાડિયાના વાવડી રેલવે ટ્રેક પર ટ્રેનની ટક્કરે એક સિંહબાળ ઘાયલ થયાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે વેરાવળ-બાંદ્રા વીકલી પેસેન્જર ટ્રેન પસાર થતી વખતે એક સિંહણ અને ચાર સિંહબાળ ટ્રેક પર હતા. ટ્રેનની ટક્કરથી એક સિંહબાળ ઘાયલ થયું હતું, જ્યારે સિંહણ અને અન્ય સિંહબાળનો બચાવ થયો હતો. વનવિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી ઘાયલ સિંહબાળને રેસ્ક્યુ કરીને સારવાર માટે ખસેડ્યું છે. વનવિભાગે ટ્રેક ક્લિયર કરાવ્યોઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગ દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. શેત્રુંજી ડિવિઝનના આરએફઓ ભરતભાઈ ગાલાણી સહિત કુંકાવાવ ટીમ અને કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે આખો રેલવે ટ્રેક સ્કેન કરીને અન્ય સિંહોને કોઈ ઈજા થઈ છે કે કેમ તેની તપાસ કરી હતી અને ટ્રેક ક્લિયર કરાવ્યો હતો. ટ્રેનને એક કલાકથી વધુ સમય રોકી રખાઇજૂનાગઢના સીએફ રામ રતન નાલાએ ઘટનાની ગંભીરતા સમજીને સિંહબાળને બચાવવા માટે તાત્કાલિક જૂનાગઢના સક્કરબાગ ઝૂ ખાતે સારવારની વ્યવસ્થા કરી હતી. ઝૂના ડાયરેક્ટર સહિતની ટીમને તૈનાત કરવામાં આવી હતી અને પશુચિકિત્સકોને ઇમરજન્સી સારવાર આપવા સૂચના આપવામાં આવી હતી. સિંહબાળના અકસ્માતને કારણે પેસેન્જર ટ્રેનને એક કલાકથી વધુ સમય સુધી રોકી રાખવામાં આવી હતી. વનવિભાગ દ્વારા સિંહબાળનું રેસ્ક્યુ કર્યા બાદ જ ટ્રેનને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી હતી. કુંકાવાવ વિસ્તારમાં રેલવે ટ્રેક પર આવી આ પ્રથમ ઘટનાજૂનાગઢના સીએફ રામ રતન નાલાએ જણાવ્યું કે, તેઓ સતત પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. કુંકાવાવ વિસ્તારમાં રેલવે ટ્રેક પર આવી આ પ્રથમ ઘટના છે. ઘાયલ સિંહબાળને બચાવવા માટેના પ્રયાસો ચાલુ છે અને સક્કરબાગ ઝૂ ખાતે ઇમરજન્સી સારવારની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. અગાઉ પીપાવાથી લીલીયા સુધી વધુ અકસ્માત થયારેલવે ટ્રેક ઉપર સિંહણ સિંહબાળ સિંહો ટ્રેન અડફેટે આવી જવાની ઘટના પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક અને રાજુલા-સાવરકુંડલા અને લીલીયા સુધી ભૂતકાળમાં અનેક ઘટનાઓ બની ચુકી છે. વડીયા વાવડી રેલવે ટ્રેક ઉપર પ્રથમ વખત સિંહબાળ ટ્રેન અકસ્માતની ઘટનાથી વનવિભાગમાં દોડધામ મચી છે.
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગત રાત્રે કોમર્શિયલ ઇમારત સિદ્ધાર્થ એક્સલેન્સના ટેરેસ પર આગનો બનાવ સામે આવ્યો હતો. આગે વિકરાળ સ્વરૂપ લેતા આસપાસના અને ઇમારતના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની વાસણા ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સિદ્ધાર્થ એક્સલેન્સ નામની ઇમારતમાં આગ લગતા અફરાતફરીવડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ એક્સલેન્સ નામની ઇમારતમાં આગ લગતા અફરાતફરી મચી ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયરની ટીમે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ અંગેની જાણ આસપાસના લોકોને થતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ફાયર વિભાગ, સ્થાનિક પોલીસ અને વીજ કર્મીની મદદથી આગ સંપૂર્ણ કાબૂમાં આવી હતી અને કોઈ જાનહાનિ થઈ ન હતી. ટેરેસ પર ફર્નિચર સ્ક્રેપ મટીરિયલમાં આગ લાગવાનો કોલ મળ્યો હતોઆ અંગે વાસણા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર જયદીપ ગઢવીએ જણાવ્યું હતું કે, સિદ્ધાર્થ એક્સલેન્સ નામનું કોમર્શિયલ કૉમ્પ્લેક્સ હતું. જેના ટેરેસ પર ફર્નિચર સ્ક્રેપ મટીરિયલમાં આગ લાગવાનો કોલ મળ્યો હતો. અમે તાત્કાલિક પહોંચી બિલ્ડિંગમાં ઇવિકવેશન શરૂ કર્યું હતું અને એક ટીમ આગ કંટ્રોલ કરવા લાગી હતી. જેથી કોઈ ઇન્જરી કે કોઈ અન્ય ઘટના બની નથી. ‘આગ ક્યાં કારણથી લાગે તે અંગે તપાસ થશે’વધુમાં કહ્યું કે, લોકોનું કહેવું છે કે ટેરેસ પર કોઈ ફટાકડા ફોડતું હતું, અને ત્યાં એક એસીનું આઉટડોર પણ સળગ્યું છે એટલે તપાસ બાદ ખ્યાલ આવશે કે શોર્ટસર્કિટ છે કે અન્ય કોઈ કારણ છે. આ ઘટનામાં સ્ક્રેપનો સામાન બળીને ખાખ થયો છે.
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટ, 7ના મોત, 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત
Srinagar Blast News : દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ હવે જમ્મુ-કાશ્મીરના દક્ષિણ શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશન ખાતે શુક્રવારે રાતે એવી ઘટના બની જેની કલ્પના પણ નહોતી કરી. અહીં એક એવો પ્રચંડ બ્લાસ્ટ થયો કે જેનાથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો અને ધડાકાનો અવાજ લગભગ અનેક કિ.મી. સુધી સંભળાયો હતો. આ વિસ્ફોટમાં સાત લોકોના મોતના અહેવાલ છે.
મોરબી એ- ડિવિઝન પોલીસ દ્વારા તપાસ:નવલખી ફાટક પાસેથી મળેલી લાશ ખેતમજૂરની હોવાનું બહાર આવ્યું
ૉમોરબી શહેરમાં નવલખી રોડ પર રેલવે ફાટક પાસે પાણીમાં ખાડામાંથી સવારના સમયે મળી આવેલો મૃતદેહ મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની અને હાલમાં માળીયા મિયાણા તાલુકાના ખીરસરા ગામની સીમમાં ખેત મજૂરી કરતા યુવકનો હોવાનું સામે આવ્યું છે. જો કે, હજુ સુધી તેના મૃત્યુનું કારણ અકબંધ છે. પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે. મોરબી શહેરના નવલખી ફાટક નજીક પાણીના ખાડામાંથી અજાણ્યા યુવકની લાશ મળતા પોલીસ તપાસમાં મૃતક મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો વતની હોવાનું અને હાલમાં માળીયા મિયાણા તાલુકાના ખીરસરા ગામની સીમમાં ભગુભાઇની વાડીએ કામ કરતો રવીન્દ્રભાઈ ચુનિયાભાઈ ભુરિયા ઉ.33 હોવાનું ખુલ્યું હતું. હાલ તો પોલીસે મૃતક અહીં કેવી રીતે આવ્યો અને મૃત્યુ કઇ રીતે નીપજ્યું તે દિશામાં તપાસ કરી રહી છે અને હાલ તો બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ ચાલુ રાખી છે.
વ્યાજખોરોનો ત્રાસ:મોરબીમાં અઢી લાખ વ્યાજે લઈ ચૂકવી દીધાં છતાં વધુ 30 લાખની ઉઘરાણી
મોરબીમાં વ્યાજખોરોની હિંમત વધી રહી હોય એમ વધુને વધુ વ્યાજખોરોના ત્રાસના બનાવો બહાર આવી રહ્યા છે. જેમાં મોરબીના મકનસરના ગોકુલનગરમાં મોબાઈલના એક ધંધાર્થીએ અઢી લાખ રૂપિયા 30 ટકા વ્યાજે લઈ બાદમાં ચાર મહિનામાં ચૂકવી દીધા હોવા છતા વ્યાજખોરોએ માથાભારે શખ્સનો હવાલો આપી 2.5 લાખના વધુ 30 લાખ પડાવી લેવા બેંકમાં ચેક નાખીને તેનું જીવવું હરામ કરી દીધું હતું. અંતે આ વ્યાજખોરોના ત્રાસનો મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના મકનસર ગામે ગોકુલનગરમાં રહેતા અને અગાઉ મોબાઇલની દુકાન ધરાવતા અમિતભાઇ વિનોદભાઈ વડોલીયા ઉ.વ.26 નામના યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, અગાઉ પોતાને નાણાની જરૂરત પડતા દિલીપ ઉર્ફે ભગવાન વાલજીભાઈ આલ રહે.મકનસર, ગોકુલનગર મોરબીની પાસેથી 30 ટકાના ઉંચા વ્યાજ દરે અઢી લાખ રૂપિયા લેવા પડ્યા હતા.પરંતુ આ અઢી લાખની મૂળ રકમ 30 ટકાના વ્યાજ સાથે ચૂકવી દીધી હતી. ચાર મહિનામાં વ્યાજ સાથે મૂળ રકમ આપી દેવા છતાં પણ દિલીપ ઉર્ફે ભગવાન વાલજીભાઈ આલે અમિતાભાઈ પાસેથી બે કોરા ચેક પડાવી લીધા હતા. જે ચેક નાણાં ચૂકવવા છતાં પરત ન કરી અને ચેક ક્યાંક મુકાઈ ગયા હોવાનું બહાનું બતાવ્યું હતું. આરોપી દિલીપે કોઈ ઇમરાન નામના શખ્સને આ બન્ને ચેક આપી દેતા ઇમરાન અને તેની સાથેના અન્ય ત્રણ શખ્સ અવારનવાર અમિતને ફોન કરી પૈસાની પઠાણી ઉઘરાણી કરી ત્રીસ લાખ આપવા પડશે તેમ કહી બેંકમાં ચેક નાખ્યા હતા. જેથી વ્યાજખોરીના આરોપી દિલીપ, ઇમરાન અને અન્ય ત્રણ અજાણ્યા વિરુદ્ધ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
તસ્કરોનો તરખાટ:પોલીસની ઠંડી ઉડાડવા તસ્કરો મેદાનમાં, મંદિર બાદ દુકાનમાં હાથફેરો
મોરબીમાં ઠંડીની મૌસમ શરૂ થતાં જ તસ્કરો મેદાને આવ્યા છે. જેમાં પોલીસ નિષ્ક્રિય અને તસ્કરો વધુ સક્રિય હોવાની ઘટનાઓ સામે આવી છે. થોડા દિવસો અગાઉ તસ્કરોએ મોરબીના એક મંદિરમાં હાથ ફેરો કર્યા બાદ હવે હિંમત વધી જતાં જનરલ સ્ટોરને નિશાન બનાવ્યો હતો. શહેરના રવાપર- ઘુનડા રોડ ઉપર આવેલ જનરલ સ્ટોરમાં આજે વહેલી સવારે તસ્કરોએ તાળા તોડી દુકાનની અંદર હાથફેરો કરી દુકાનના માલ સામાનની સાથે સીસીટીવી અને ડીવીઆર પણ ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે. મોરબીના રવાપર- ઘુનડા રોડ ઉપર નવજીવન સ્કૂલ પાસે જનરલ સ્ટોર ધરાવતા મનોજભાઈ લાલજીભાઈ ઓગણજાના જણાવ્યા અનુસાર તેમની દુકાનમાં અગાઉ તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ દુકાનના તાળા તોડી રૂ.35 હજારની વસ્તુ ચોરી કર્યા બાદ ફરી આજે વહેલી સવારે આ દુકાનમાં તાળા તોડી અંદર પ્રવેશી જનરલ સ્ટોરની ઘણી વસ્તુઓ તેમજ 2 કેમેરા અને ડીવીઆરની ચોરી કરી ગયા હતા. આ બાબતે તેઓએ પોલીસને જાણ કરી છે. તેથી પોલીસની તપાસ બાદ જ ચોરીનો સાચો આંક જાણવા મળશે. નોંધનીય છે કે, હજુ શિયાળામાં આ માત્ર બોણી સમાન જ ઘટના છે. હજુ શિયાળો તો આખો બાકી જ છે. એટલે આબરૂ બચાવવી હોય તો પોલીસને આળસની સાથે ટાઢ પણ ઉડાડવી પડશે.
મોરબીમાં બે દિવસ પહેલાં એક પરપ્રાંતિય મહિલા એકલી અટૂલી અને ડરેલી, સહેમી રસ્તા પર રડતા રડતા જતી હતી અને કોઇ સેવાભાવીનું ધ્યાન જતાં અભયમને જાણ કરી ટીમને બોલાવી હતી અને મહિલાનું કાઉન્સેલિંગ કરાતાં તેને પતિ સાથે વાંધો પડ્યો હોવાનું અને કોઇને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા પછી રસ્તો ભૂલાઇ ગયો અને ગુજરાતી સરખું આવડતું ન હોવાથી કોઇને કશું સમજાવી શકતા ન હતા, જો કે ટીમના કાઉન્સેલિંગ પછી મહિલા માત્ર પતિની કંપનીનું નામ જણાવી શકી અને તેના પરથી પરિવાર સાથે મેળાપ થઇ શક્યો હતો. મોરબીમાં એક મહિલા એકલી ફરતી હોવાનો કોલ 181ની ટીમને મળતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાઉન્સેલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ ખ્યાતીબેન, પાયલોટ મહેશભાઈ પહોંચ્યા ત્યારે કોલ કરનારા વ્યક્તિએ મહિલા ઘણા સમયથી એકલા ઉભા હોવાનું જણાવ્યું હતું. આથી ટીમે તેની પૂછપરછ શરૂ કરતાં તેમણે જણાવ્યું કે તેઓ યુપીના છે અને અહીં પતિ સાથે કામ કરવા આવ્યા છે, પરંતુ પતિ સાથે ઝઘડો થતાં કોઇને કશી જાણ કર્યા વગર જ ઘરેથી નીકળી ગયા હતા અને પછી રસ્તો ભૂલાઇ ગયો હતો. આથી ઘરે કેમ પાછા જવું અને ક્યાં જવું એ વીટંબણા હતી. તેઓ જ્યાં રહેતા હતા એ જગ્યાએ થોડા સમયથી જ રહેવા આવ્યા હોઇ, ઘરનું સરનામું પણ જાણમાં ન હતું. તેમના પતિ જે કંપનીમાં કામ કરતા હોય તે કંપનીનું નામ તેમને યાદ હોવાથી આજુબાજુના વિસ્તારમાં પૂછપરછ કરતા મહિલાના પતિ જે કંપનીમાં કામ કરતા હોય તે મળી આવ્યા મહિલાના શ્વાસ હેઠાં બેઠાં હતા. બીજી તરફ પતિને પણ સમજાવટ કરાઇ હતી કે હળી મળીને રહે, પત્નીનું ધ્યાન રાખે જેથી હવે પછી આવી રીતે ઘરેથી ન નીકળે તેમજ મહિલાએ પણ જણાવ્યું હતું કે હવે પછી તેમના પતિને કહ્યા વગર ક્યારેય નીકળશે નહીં. નોંધનીય છે કે 181 ટીમ આવા બનાવો અને ઘરેલું હિંસાની ઘટનાઓમાં સમજાવટથી ઉકેલની લાવવાની બાબતમાં સફળ નીવડી રહી છે અને અનેક કિસ્સામાં સમાધાન કરાવીને ગૃહસ્થી ભાંગતા પણ અટકાવી છે.
પ્રજાની સહનશક્તિ ખૂટી પડી:મોરબીના ઘૂટુંના લોકોનો રસ્તા, પાણી, સફાઇ સહિતની સમસ્યા મુદ્દે ચક્કાજામ
મોરબીના ઘુટુંની રામકો વિલેજ સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધા માટે રીતસર તડપતા હોવા છતાં માત્ર લોલીપોપ જ મળતા અંતે સહનશક્તિનો અંત આવી ગયો હતો. રોષે ભરાયેલા રહીશો રોડ ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કરીને ગ્રામ પંચાયતના પાપે 16 વર્ષથી પાણી, લાઈટ, સફાઈ, ગટર જેવી મૂળભૂત જરૂરિયાત ન મળતા ભારે હાડમારી ભોગવવી પડતી હોવાની હૈયાવરાળ ઠાલવી હતી. સોસાયટીના રહીશોએ આ રીતે સતત બે કલાક સુધી ખાંડા ખખડાવતા તંત્ર ઘૂંટણિયે પડ્યું હતું. રામકો વિલેજ સોસાયટીના રહીશોએ આજે મોરબી- હળવદ હાઇવે ચક્કાજામ કરીને રોષભેર જણાવ્યું હતું કે ઘુંટુ ગામે રામકો વિલેજ સોસાયટી વર્ષ 2009થી બન્યા બાદ આજદિન સુધી રોડ, પાણી, લાઈટ, ગટર સહિતની પ્રાથમિક સુવિધા મળી જ નથી. ગટર ન હોવાથી પાણીને ભરાતા સોસાયટીમાં સ્કૂલ રીક્ષા કે એમ્બ્યુલન્સ આવતી નથી. પાણી આવતું ન હોય મોંઘા ભાવે ટેન્કર મંગાવવા પોસાય તેમ ન હોવાથી રોજેરોજ પાણી માટે રામાયણ થાય છે. ગામમાં બધે સ્ટ્રીટ લાઈટ છે. પણ તેમની સોસાયટીમાં એકપણ સ્ટ્રીટ લાઈટ નથી. ખાતરી અપાતા ચક્કાજામ હટ્યો ચક્કાજામને 2 કલાક જેટલો સમય થતા રોડની બન્ને બાજુ વાહનોની કતારો લાગી હતી. તાલુકા પીઆઇ ચરેલ, મામલતદાર ત્રાંબડીયા અને ટીડીઓ વણપરીયાએ સ્થાનિકોને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા હતા. પરંતુ સ્થાનિકો પોતાની માંગ ઉપર અડગ રહ્યા હતા. અંતે ગ્રાન્ટ ફાળવી વહેલાસર કામો શરૂ કરાવવાની અધિકારીઓ તરફથી ખાતરી આપવામાં આવતા સ્થાનિકોએ આ ચક્કાજામ હટાવી દીધો હતો.
ખાતમુહૂર્તનું આયોજન:મોરબીમાં રૂ. 59.77 કરોડના ખર્ચે 4 રોડના કામ હાથ ધરાશે
મોરબી જિલ્લામાં માર્ગ અને મકાન (પંચાયત તથા રાજ્ય) વિભાગ હસ્તકના 59.77 કરોડના વિવિધ રસ્તાઓના કામનું ખાતમુહૂર્તનું આયોજન કરાયું છે. જેમાં આજે સાંજે 4:30 કલાકે, પટેલ સમાજ વાડી, બેલા (રં), યોજાશે. જ્યાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અમૃતિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાશે. બેલા-ભરતનગર રોડ માટે રૂ. 2842.50 લાખ, પીપળીયા- મહેન્દ્રનગર- સરવડ રસ્તાનું રીસર્ફેસિંગ માટે રૂ. 789.98 લાખ, જીકીયારી ખાતે મેજર બ્રિજ માટે 751.53 લાખ અને અણીયારી વેજલપર ઘાંટીલા રોડ માટે 1593.40 લાખના કામોનો સમાવેશ થાય છે. આ મળી કુલ રૂ. 5977.41 લાખના (59.77) કામોનું ખાતમુહૂર્ત કરાશે.
ખેતીની આડમાં ગાંજાની ખેતી કરતા હતાં:બોરીયામાં ગાંજાના 64 કિલોના82 છોડ સાથે શખ્સ ઝડપાયો
શહેરા તાલુકાના બોરીયા ગામે ડોડીયાર ફળીયામાં રહેતા શંકરભાઇ નારૂભાઇ ડોડીયાર પોતાના રહેણાંક મકાનની પાસે આવેલી તેમની જમીનમાં ખેતીની આડમાં ગાંજાની ખેતી કરી રહ્યા હોવાની બાતમી પંચમહાલ જિલ્લા એસઓજીના પીઆઇને મળી હતી.મળેલી પાકી બાતમીના આધારે પીઆઇ આરએ પટેલે પોસઈ બીકે ગોહિલ તેમજ અન્ય સ્ટાફના માણસોને સાથે રાખી સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ હાથ ધરવામાં આવતાં ખેતીની આડમાં લીલા ગાંજાના 82 નંગ છોડ મળી આવ્યા હતા. ત્યારબાદ એફએસએલ અધિકારીને સ્થળ ઉપર બોલાવી મળી આવેલ લીલા ગાંજાના છોડનુ પરીક્ષણ કરાવવામાં આવતાં તેનુ વજન કરાવતા 64.650 કીલોગ્રામ થયેલ હતુ. જેની કિ.રૂા.32,32,500 ગણી મળીઆવેલ તમામ ગાંજાના છોડનેવધુ તપાસ અર્થે તથારૂા.1500નો એક મોબાઇલકબ્જે લીધો હતો. શંકરભાઈ ડોડીયારનાવિરુદ્ધ શહેરા પોલીસ સ્ટેશનખાતે એનડીપીએસ એકટમુજબ ગુનો નોંધ્યો છે. પોલીસદ્વારા હાલમાં આ ગાંજાનાવેચાણ અને વાવેતરમાં અન્યકોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છેકે કેમ તે સહિતના મુદ્દાઓ પરઊંડાણપૂર્વક તપાસ શરૂકરવામાં આવી છે. ઉલ્લેખનિયછે કે છેલ્લા ઘણા સમયથીગાંજાના છોડનું વાવેતરજિલ્લામાં વધી રહ્યુ છે.
દિવાળી પછી માવઠાંને કારણે કપાસ સહિતના પાકોને મોટું નુકસાન થતા ખેડૂતો મોટા આર્થિક સંકટમાં મુકાઈને દેવાદાર બની જાય તેવી પરિસ્થિતિ સામે આવી છે. આખા ગુજરાતમાં 16500 ગામોમાં ખેડૂત સહાયના વીસીઇ એટલે ગ્રામ પંચાયતમાં રહેલા કોમ્યુટર ઓપરેટર દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જો કે સવારે ખેડૂતોની સંખ્યા થઇ જ ન હોવાનું અને બપોર બાદ જ આ કામગીરી અમુક કેન્દ્રો પર થઇ હોવાનું સામે આવ્યું હતું. જો કે મોરબી અને માળીયાના એકાદ જ ગામમાં ફોર્મ ભરવાની પ્રક્રિયામા નેટ ઇસ્યુ થયાનું સામે આવ્યું હતું.જે તરત જ ઉકેલી લેવામાં આવ્યો હતો. બીજી તરફ ગોંડલ, જસદણ પંથકમાં પણ ફોર્મ ભરવામાં કોઇને કશી તકલીફ પડી ન હોવાનું સામે આવ્યું હતું. મોરબીના ગોર ખીજડિયા ગામના સરપંચ ગૌતમ મોરડીયાએ જણાવ્યું હતું કે, આજ સવારથી ખેડૂત સહાય ફોર્મ ભરવાનું ચાલુ છે. અત્યાર સુધી તો આ કામ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. જ્યારે વીસીઇ એટલે કોમ્યુટર ઓપરેટર આશિક સુમરાએ કહ્યું હતું કે, ફોર્મ ભરવામાં જરાય નેટ ઇસ્યુ નડ્યો નથી. એટલે એકદમ બરાબર રીતે ફોર્મ ભરાય છે. ખેડૂત મનસુખભાઈ રામજીભાઈ ગોરીયાએ જણાવ્યું હતું કે, ફોર્મ ભરવામાં કોઈ વાંધો કે મુશ્કેલી નડી નથી.ચાંચાપર ગામના સરપંચ સગીતાબેન ભીમાણીએ જણાવ્યું હતું કે, યોગ્ય રીતે ખેડૂત સહાયના ફોર્મ ભરાય છે. ઈન્ટરનેટનો કોઈ પ્રોબ્લેમ નડ્યો નથી. કેરાળા ગામના સરપંચ પંકજભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે હાલ કોઈ સમસ્યા નથી.અમરનગર ગામના સરપંચએ જણાવ્યું હતું કે, ત્રણ ચાર ગામ વચ્ચેના એક વીસીઇ છે તેમની ઘરે આજે પ્રસંગ હોય આવ્યા નથી. એથી કાલે ખબર પડે કે સમસ્યા છે કે નહીં ? ઘાટીલા, ભાવપરમાં કાલથી ફોર્મ ભરવાનું શરૂ થશે માળીયાના ઘાટીલાના સરપંચ હેતલબેન ઉમેશભાઈએ જણાવ્યું હતું કે, આજે ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ લઈ લીધા છે અને આવતીકાલથી ફોર્મ ભરવાનું શરૂ કરીશું ત્યારે જ સમસ્યાની ખબર પડશે.આવી જ રીતે માળીયાના ભાવપરના સરપંચ મનહરભાઈ ગામી એ જણાવ્યું હતું કે, અમારે પણ કાલથી ફોર્મ ભરવાનું ચાલુ કરાશે. માળીયાના સરવડના સરપંચ નવનીતભાઈના જણાવ્યા મુજબ આજે નેટ ખૂબ ધીમું ચાલે છે. માળીયાના નાના દહીંસરાના પ્રવીણભાઈ ભટાસણાએ જણાવ્યું હતું કે, વીસીઇ કાલે આવવાના હોય કાલથી ફોર્મ ભરવાનું શરૂ થશે. કુંતાસી ગામના સરપંચ ઉર્મિલાબેન રમેશભાઈએ પણ કાલથી કામ શરૂ થશે તેમ ઉમેર્યું હતું. કૃષ્ણનગરમાં સર્વર ડાઉન, નાની બરારમાં ડોક્યુમેન્ટ ન નીકળ્યાકૃષ્ણનગર ગામના સરપંચ રાજેશભાઈ સોનારાએ જણાવ્યું હતું કે, ખેડૂત સહાય ફોર્મ ભરવામાં નેટ ઇસ્યુ થયો હતો. વારંવાર સર્વર ડાઉન થઈ જતું હોવાથી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં અવરોધ થયો હતો. જ્યારે માળીયા મી.ના નાની બરાર ગ્રામ પંચાયતના વીસીઇ અનિલ શેરસિયાએ જણાવ્યું હતું કે, આજે 7 12, 8 અ જેવા અગત્યના ડોક્યુમેન્ટ નીકળ્યા જ નથી. તેથી ભારે મુશ્કેલી પડી હતી.
ભાસ્કર નોલેજ:ગોધરા સિવિલ પાસે મેસરી નદી કાંઠેથીપાલિકા દ્વારા કચરાનો નિકાલ શરૂ
ગોધરાની મેસરી નદીના કાંઠે,સિવિલના પ્રવેશદ્વારની પાછળનાભાગમાં છેલ્લા ઘણા સમયથીએકઠી થયેલી ગંદકીનીભરમારની પાલિકા દ્વારા આખરેસફાઈ શરૂ કરી છે. આ કચરામાંચાલુ વર્ષે અનેક વાર નાના મોટાઆગ લાગવાના બનાવો બનતાફાયર બ્રિગેડની મદદ લેવાનીજરૂરિયાત ઉભી થવા પામેલ હતી. ગોધરા સિવિલના પાછળનાભાગે કચરાના ઢગલાની સફાઈનહિ થતા ગંદકીના ભરમાર વચ્ચેકચરામાં વારંવાર આગલાગવાના બનાવો બનતા હતા.જેથી ગોધરા પાલિકા તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલના પાછળના પ્રવેશદ્વાર પાસે જ ગંદકીનાખડકલા હટાવવાની પાલિકાદ્વારા કામગીરીનો પ્રારંભકરવામાં આવેલ છે. પાલિકાસફાઈ ટીમ દ્વારા જેસીબી દ્વારાઆજે સવારથી કચરાના ઢગલા હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. કામગીરી દરમ્યાન સ્થળ પર રહેલા ખાનગીકંપનીના વાયરો વિઘ્નરૂપ બન્યા હતા. જેના કારણે સફાઈ કાર્યમાં મુશ્કેલીઓ ઊભી થઈ હતી. આ સફાઈ અભિયાનથી માત્ર હોસ્પિટલની આસપાસનોવિસ્તાર સ્વચ્છ બનશે. કચરામાં આગ અનેહોસ્પિટલ પર જોખમ ગોધરા સિવિલના પાછળના પ્રવેશદ્વાર પાસે એકઠા થતા કચરામાંવારંવાર આગ લાગવાના બનાવોબને છે, જે હોસ્પિટલમાં દાખલદર્દીઓ માટે જોખમ ઊભું કરી શકેછે. કચરામાં આગ લાગવાને લઈનેઅનેકવાર ફાયર બ્રિગેડની મદદલેવાઇ છે. આ સ્થળ પર અવારનવાર અજાણ્યા ઈસમો દ્વારા આગલગાડવામાં આવે છે.જે સિવિલ માટેમોટું જોખમ સાબિત થઈ શકે છે.
પંજાબમાં દહેશત ફેલાવાના હોવાની કબૂલાત:પંજાબમાં હથિયાર-ગ્રેનેડની હેરાફેરીનો વોન્ટેડ હાલોલથી ઝડપાયો
પંજાબના ગુરદાસપુર જીલ્લામાં બાટલા શહેરમાંથી જીવતા ગ્રેનેડથી દહેશત ફેલાવાનો પંજાબ પોલીસે પર્દાફાશ કરીને ગુનો નોંધ્યો હતો.આ ગુનાનો વોન્ટેડ આરોપી ગુજરાતમાં હોવાની માહિતી પંજાબ પોલીસે ગુજરાત એટીએસને માહિતી આપતા ગુજરાત એટીએસે હાલોલ ખાતે એક કંપનીમાં કામ કરતાં વોન્ટેડ આરોપીને પકડીને પંજાબ પોલીસને સોંપવાની કાર્યવાહી કરવામાં આવી છે. પંજાબના ગુરદાસપુર જીલ્લાના સીટી બટાલા પો.સ્ટે. ખાતે 9/11/2025ના રોજ ગ્રેનેડની હેરાફેરી અને વિસ્ફોટ કરવાની સાથે સીમાપર પાકિસ્તાની આતંકવાદી નેટવર્કની મદદ કરવાનો ગુનો નોંધવામાં આવેલ હતો. જેનો મુખ્ય આરોપીઓ મનુ અગવાન અને મનિન્દર બિલા તેઓ હાલ મલેશિયા સ્થિત છે. તેઓ આઈ.એસ.આઈ.ના હેન્ડલરો સાથે મળી ભારતનાં પંજાબમાં ઓપરેટિવ્સ તૈયાર કરી, ગ્રેનેડ અને પિસ્ટલ મેળવી પંજાબ તથા અન્ય રાજ્યોમાં દહેશત ફેલાવવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ગ્રેનેડ હુમલા અને ફાયરિંગ કરવાનું કાવતરું ઘડેલ હોવાનું જાણવા મળેલ છે. જે માટે આરોપીઓ દ્વારા બે ગ્રેનેડ અને બે પિસ્ટલની પિકઅપ અને ડિલિવરી માહિતીની આપ-લે પણ થયેલ હોવાનું જણાયેલ છે. આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પંથબિરસિંઘ અને જસકિરતસિંઘની પંજાબ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમ્યાન તેમને ગુનામાં સામેલ અન્ય આરોપી ગુરપ્રિતસિંઘ ઉર્ફે ગોપી બિલા રહે. બટાલાનું નામ આપ્યું હતું. ગ્રેનેડના ગુનામાં વોન્ટેડ આરોપી ગુરપ્રિતસિંઘ ઉર્ફે ગોપી બિલાની માહિતી પંજાબ પોલીસ દ્વારા ગુજરાત એ.ટી.એસ.ના અધિકારીઓ સાથે શેર કરવામાં આવી હતી. જે બાતમીને નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયે તપાસ કરતા બાતમી મળી કે, ધોળકાની પ્રકાશ ટ્રાન્સપોર્ટ કંપનીના કામ અર્થે ગુરપ્રિતસિંઘ હાલોલ બસ સ્ટેન્ડ સામેની હોટલ રોકાયો છે. તેવી બાતમીના આધારે ગુજરાત એ.ટી.એસ.ના પો.ઇન્સ. એન. આર. બ્રહ્મભટ્ટ, પો.ઇન્સ. વાય.જી. ગુર્જર, પો.સ.ઈ. એમ.એન. પટેલ તથા એ.ટી.એસ.ના સ્ટાફની ટીમ હાલોલ પહોંચી હતી. હાલોલમાં એક હોટલમાં શંકાસ્પદ વ્યક્તિને તપાસી નામ પુછતા તેણે પોતાનું નામ ગુરપ્રિતસિંઘ હોવાનું જણાવતા તેની અટકાયત કરીને વધુ પૂછપરછ માટે અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો. એટીએસની પૂછપરછમાં ગુરપ્રિતસિંઘ પ્રાથમીક પૂછપરછમાં તેણે મનુ અગવાન અને મનિન્દર બિલા સાથે મળી પંજાબમાં દહેશત ફેલાવવા ગ્રેનેડ હુમલા કરવાના કાવતરાંમાં સંડોવાયેલ હોવાની કબુલાત કરી હતી. જેથી પકડાયેલ આરોપી ગુરપ્રિતસિંઘને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પંજાબ પોલીસને સોંપવા માટે કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે પંજાબમાં દહેશત ફેલાવનાર આરોપી હાલોલ ખાતે એક કંપનીમાં મજદૂર તરીકે કામ કરતા ગુજરાત એટીએસે પકડી પાડતા ચકચાર મચી જવા પામી છે.
ભાસ્કર ઈનસાઈડ:ઘાણીખુટમાં માતાએ 5 વર્ષના માસૂમ પુત્ર સાથે કૂવામાં ભૂસકો મારતાં બંનેનાં મોત
ઘાણીખુટમાં આજે સવારના 6 વાગ્યાની આસપાસ દુખદ ઘટના બની હતી. બે સંતાનોની માતા સંગીતાબેન (ઉંમર 26) અને તેના 5 વર્ષીય પુત્ર તેજસ કુમાર સાથે કુવામાં મોતની છલાંગ લગાવી મોતને વ્હાલુ કર્યુ હતું. ઘાણીખુટ ગામના રાકેશભાઈ ખુમાભાઇ કટારા લગ્ન 12 વર્ષ અગાઉ વાંસિયાકુઈના જગજીભાઈ પગીની પુત્રી સંગીતાબેન (ઉંમર વર્ષ આશરે 26)ની સાથે થયા હતા. બન્નેને સંતાનમાં 5 વર્ષીય પુત્ર નામે તેજસ તથા પુત્રી પ્રિયા ઉંમર વર્ષ આશરે 7ના રાજી ખુશીથી ઘર સંસાર ચલાવી રહ્યા હતા. જ્યારે રાકેશભાઈ ખેત મજૂરી તથા પોતાની રીક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેઓ ગુરૂવારે સાંજના રીક્ષા લઇ ક્યાંક વર્ધીમાં ગયા હતા. જ્યારે સંગીતાબેન તથા બે બાળકો ઘરે હતા. દરમિયાન સંગીતાબેને કોઆજરોજ સવારના છ વાગે કૂવામાં ઝંપલાવવાના મક્કમ ઇરાદાથી બે બાળકો સાથે મકાનથી થોડે દૂર આવેલ કુવા ઉપર ગયા હતા. માસુમ પુત્ર સાથે માતાએ કુવામાં મોતનો ભુસકો માર્યો હતો. પરીવાર અને લોકોને ખબર પડતા઼ જ દોડી ગયા હતાં. પરંતુ ત્યાં સુધી સંગીતાબેન કુવાના ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. જ્યારે તેજસની લાશ કૂવાના પાણીમાં તરતી જોવા મળી હતી. મૃતક સંગીતાબેને કયા કારણોસર પોતાના નાના બાળકો સાથે અંતિમ પગલું ભરવા મજબૂર બન્યા તે એક તપાસનો વિષય છે. દીકરી ભાગી છૂટી પરિવારને જાણ કરી હતીમાસુમ બાળકો સાથે માતા કુવામાં મોતનો ભુસકો મારવા જતી હતી. તે વેળા સાત વર્ષની પુત્રી પ્રિયા માતાના હાથમાંથી છટકીને ભાગી ગઇ હતી. ભાગી છૂટેલી દિકરી પ્રિયાએ ઘટનાની જાણ પરિવારજનોને કરવામાં આવી હતી. જેના પગલે પરિવારજનો દોડી ગયા હતાં. પરંતુ પરિણીતા અને પુત્રનું કુવામાં ડૂબી જવાથી મોત થયુ હતું. જયારે માસુમ દીકરી ભાગી છૂટતો તેનો બચાવ થયો હતો.

32 C