SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
... ...View News by News Source

મનરેગાનું નામ પડ્યું ને બચુ ખાબડે કાન પકડ્યો!:ભાજપના ધારાસભ્યે મિટિંગનો માહોલ ગરમ કરી નાખ્યો; ગુજરાતે વાઘના વધામણાની તૈયારી આદરી

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:55 am

હુમલાખોરોએ ખાર રાખી ધમાલ મચાવી:બે મિત્ર પર માથાભારે ટોળકીએ હુમલો કરી યુવકના પગ ભાંગી નાખ્યા, રિક્ષામાં તોડફોડ

શહેરના ભગવતીપરામાં બુધવારે બપોરે રિક્ષામાં બેઠેલા બે મિત્ર પર માથાભારે શખ્સો તૂટી પડ્યા હતા. રિક્ષામાં તોડફોડ કરી એક યુવકને ધોકા-પાઇપના ઘા ઝીંકી તેના બંને પગ ભાંગી નાખ્યા હતા. ઘવાયેલા યુવકના મિત્રના ભાઇને અગાઉ હુમલાખોરના પિતા સાથે બોલાચાલી થઇ હતી તેનો ખાર રાખી માથાભારે શખ્સોએ ધમાલ મચાવી હતી. ભગવતીપરામાં હુશેનિયા મસ્જિદ પાસે રહેતો અને ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરતો સમીર અયુબભાઇ સોરા (ઉ.વ.27) તેના રિક્ષાચાલક મિત્ર સિકંદર હારૂનભાઇ રાઉમા સાથે તેની રિક્ષામાં બેસી ચા પીવા ગયો હતો. ચા પીને બંને મિત્ર બપોરે બારેક વાગ્યે પરત પોતાના ઘર તરફ જવા રવાના થયા હતા અને ભગવતીપરામાં આઝમ ચોક પાસે પહોંચ્યા હતા ત્યારે ભગવતીપરાના જાહીદ ઉર્ફે જાવલો યુસુફ, ગૌરાંગ ઉર્ફે ગવલો બાવાજી, મંડપ સર્વિસ વાળાના ત્રણ પુત્ર સહિત છ જેટલા શખ્સે ધસી આવી આંતરીને રિક્ષા ઊભી રખાવી દીધી હતી. બંને મિત્ર કંઇ સમજે તે પહેલાં જ તમામ શખ્સો ધોકા-પાઇપના ઘા રિક્ષા પર ઝીંકવા લાગ્યા હતા અને રિક્ષામાં તોડફોડ કરી હતી. રિક્ષામાંથી નીચે ઉતરેલા સમીરને કહ્યું હતું કે, તું સિકંદરની સાથે કેમ ફરે છે? ત્યારબાદ તમામ હુમલાખોરો સમીર સોરા પર ધોકા-પાઇપથી તૂટી પડ્યા હતા. સરાજાહેર હિચકારો હુમલો થતાં લોકો એકઠા થવા લાગતાં હુમલાખોરો નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા સમીર સોરાને બંને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા થઇ હતી. સમીર સોરાએ હોસ્પિટલના બિછાનેથી કહ્યું હતું કે, સિકંદર રાઉમાના ભાઇને વર્ષો પહેલાં ગૌરાંગ ઉર્ફે ગવલાના પિતા સાથે માથાકૂટ થઇ હતી અને તે સમયે તે બાબતે ફરિયાદ પણ થઇ હતી ત્યારથી ગૌરાંગ ઉર્ફે ગવલો અવારનવાર સિકંદર સાથે ઝઘડા કરતો હતો. સમીર મિત્ર સિકંદર સાથે ફરતો હોય તે ગૌરાંગ અને તેના મળતિયાઓને પસંદ નહીં પડતાં હુમલો કર્યો હતો. ઘટનાને પગલે બી-ડિવિઝન પોલીસે દોડી જઇ ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:52 am

વેપારીએ જીવન ટૂંકાવ્યું:ફર્નિચરના શોરૂમમાં વેપારીએ ફાંસો ખાધો

રેલનગર પાસે રાજનગર સોસાયટીમાં રહેતા હિતિક રાજેશભાઇ પરમારે (ઉ.વ.25) મંગળવારે સાંજે માધાપર ચોકડી નજીક આર.કે. ડેકોર નામના ફર્નિચરના શોરૂમમાં ફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી. હિતિક પરમાર તે શોરૂમ સંભાળતો હતો. અન્ય બનાવમાં ચોટીલાના મોલડી ગામે રહેતા જનકભાઇ લક્ષ્મણભાઇ ચાવડા (ઉ.વ.40) પોતાના ઘરે બેભાન થઇ જતાં તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ તેનું મૃત્યુ થયું હતું. જનકભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાના હતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હતા, સંતાનમાં એક પુત્ર, એક પુત્રી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:50 am

મોકડ્રિલ:માલગાડી સ્ટેશન પર ઊભેલા કોચ સાથે અથડાઈ, 4 પૈડાં પાટા પરથી ઉતરી ગયા, કોચ કાપી 12 ઘાયલને સુરક્ષિત બહાર કાઢ્યા

બુધવારે સવારે લગભગ 8.30 કલાકે સુરેન્દ્રનગર પાસે ન્યારા એનર્જી પ્રા. લિ. સાઇડિંગથી રતલામ રેલવે ડિવિઝન સ્થિત હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન સાઇડિંગ જઈ રહેલી એક માલગાડીની સુરેન્દ્રનગર યાર્ડની લાઇન સંખ્યા 8 પર ઊભેલા એક કેમ્પિંગ કોચ સાથે અચાનક ટક્કર થઈ ગઈ. આ ટક્કરના પરિણામે કોચના ચાર પૈડાં પાટા પરથી ઊતરી ગયાં અને તેમાં હાજર 12 રેલવે કર્મચારીને ગંભીર ઈજાઓ થવાની સ્થિતિ દર્શાવવામાં આવી. ઘટનાની જાણ થતાં જ રાજકોટથી એક્સિડન્ટ રિલીફ મેડિકલ ઇક્વિપમેન્ટ (ARME) તથા એક્સિડન્ટ રિલીફ ટ્રેન (ART) તરત જ સુરેન્દ્રનગર મોકલવામાં આવી. સાથે જ રેલવે અધિકારીઓ, સિવિલ પ્રશાસન, એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, આરપીએફ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન દળ તથા નજીકની હોસ્પિટલોને સૂચિત કરીને રાહત કાર્યોની રૂપરેખા સક્રિય કરી દેવામાં આવી. સાઇટ પર પ્રાથમિક ઉપચાર માટે તંબુઓ સ્થાપિત કરાયા, યુનિફાઇડ કમાન્ડ સેન્ટર બનાવવામાં આવ્યું તથા સહાયતા/માહિતી માટે હેલ્પલાઇન બૂથ પણ સંચાલિત કરાયા. ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના, ડિવિઝનલ સુરક્ષા અધિકારી આર.સી. મીણા, વરિષ્ઠ ડિવિઝનલ વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીના તથા NDRFના વરિષ્ઠ અધિકારી અનુપમના માર્ગદર્શન હેઠળ સંયુક્ત બચાવ યોજના પર કાર્ય કરાયું. રેલવે અને NDRFની ટીમોએ સંકલિત કાર્યવાહી કરતાં કોચને કાપીને તમામ 12 ‘ઘાયલ’ કર્મચારીઓને સ્ટ્રેચરની મદદથી સુરક્ષિત બહાર કાઢ્યા. બપોરે લગભગ 11.33 કલાકે સમગ્ર પ્રક્રિયાને સફળતાપૂર્વક પૂર્ણ જાહેર કરતાં તેને મોકડ્રિલ જાહેર કરી. રેલવેના ઓપરેટિંગ, સેફટી, ઈજનેરી તેમજ મેડિકલ ટીમને તાત્કાલિક બોલાવાઇડ્રિલ દરમિયાન ઘાયલોને બહાર કાઢવા, પ્રાથમિક ઉપચાર, ભીડ નિયંત્રણ, સંચાર વ્યવસ્થા, સુરક્ષાના પગલાં તથા રાહત પ્રવૃત્તિઓનું વિસ્તૃત અનુસરણ કરવામાં આવ્યું. અભ્યાસના અંતે સમીક્ષા બેઠકમાં સલામતી અને આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત સુધારણાના મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી. આ સંયુક્ત અભ્યાસમાં રેલવેના ઓપરેટિંગ, સેફ્ટી, ઇલેક્ટ્રિકલ, એન્જિનિયરિંગ, સિગ્નલ અને ટેલિકોમ, મિકેનિકલ, સુરક્ષા, વાણિજ્યિક, મેડિકલ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત NDRF, પોલીસ, મેડિકલ અને સિવિલ પ્રશાસનના અધિકારીઓ અને કર્મચારીઓ સામેલ થયા.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:50 am

આગ લાગી:સાંગણવામાં પ્લાસ્ટિકની પ્રોડક્ટ બનાવતી ફેક્ટરીમાં વિકરાળ આગ ભભૂકી

લોધિકાના સાંગણવામાં આવેલી શ્રીરાજ નામની પ્લાસ્ટિકના ગ્લાસ અને પ્લેટ સહિતની વસ્તુ બનાવતી ફેક્ટરીમાં બુધવારે બપોરે અચાનક જ આગ ભભૂકી ઊઠી હતી. આગના લબકારા અને ધુમાડાના ગોટા દૂર દૂર સુધી દેખાતા આસપાસના ગામોથી લોકો ત્યાં દોડી ગયા હતા. ગોંડલ, શાપર અને રાજકોટથી ફાયર બ્રિગેડની ટીમ દોડાવાઇ હતી. રાજકોટથી ત્રણ ફાયર ફાઇટર સાથે ટીમ પહોંચી હતી અને પાણીમારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. મોડીરાત સુધી આગ કાબૂમાં આવી નહોતી. સદ્નસીબે કોઇ જાનહાનિ થઇ નહોતી, આગ બુઝાયા બાદ આગનું કારણ અને નુકસાનનો અંદાજ આવશે તેવું ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:47 am

કોંગ્રેસ દ્વારા દેખાવો યોજી જિલ્લા કલેક્ટરને ઉગ્ર રજૂઆત:SIRમાં મતદારોને ભારે હાલાકી, બીએલઓ પાસે માહિતીનો અભાવ

રાજકોટ શહેરમાં SIRની કામગીરી હાલમાં ચાલી રહી છે અને તેમાં મતદારોને ભારે હાલાકી પડી રહી હોય અને બીએલઓ પાસે માહિતીનો અભાવ હોય સુદૃઢ વ્યવસ્થા ગોઠવવાની માગણી સાથે શહેર કોંગ્રેસ સમિતિએ દેખાવો યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. આવેદનમાં એવી રજૂઆત કરી હતી કે, BLO પાસે જરૂરી માહિતીનો અભાવ, જૂની મતદારયાદી (2002)માં નામ ચકાસવામાં થતી મુશ્કેલીઓ તથા ટેક્નોલોજીનો અભાવના કારણે નાગરિકો સાથે BLOનું નબળું કોર્ડિનેશન (નાગરિકોના પ્રશ્નોનું એક સાથે નિરાકરણ કરવું), નાગરિકોના મુખ્યત્વે પ્રશ્નો (2002ની યાદીમાં નામ ન હોય તો નવું નામ ઉમેરવું હોય તો જેમની ઉંમર હાલમાં જ 18 વર્ષની થઈ હોય એવા), ઓનલાઈન પ્રક્રિયા માટે ટેક્નિકલ ક્ષતિઓ દૂર કરવી. આ ઉપરાંત હોમ સબમિશન પછી રસીદ ન આપવી (કોઈ જગ્યાએ ફોર્મની એક જ કોપી આપેલી હોય એવા), BLOનો મોબાઇલ નંબર પર સંપર્ક થતો નથી અને સ્વિચ ઓફ હોય છે, ડોર ટુ ડોર વેરિફિકેશન યોગ્ય રીતે થતું નથી, તથા ભાડે રહેનારા અથવા મકાને આવેલા માટે સ્પષ્ટ માર્ગદર્શન મળતું નથી. BLOને વિસ્તારની પૂરી જાણ ન હોવી, જુદા જુદા વિસ્તારના લોકોને જુદા જુદા નિયમો કહેવામાં આવે છે તે સહિતની સમસ્યાઓનો સામનો મતદારોને કરવો પડે છે. જેના પરિણામે મતદારોને હાલાકી થઇ રહી છે તે દૂર કરવા સુદૃઢ વ્યવસ્થા ગોઠવવાની માગણી સાથે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા, મહેશભાઈ રાજપૂત, અતુલ રાજાણી, નરેન્દ્રભાઈ સોલંકી, વશરામભાઈ સાગઠિયા, ડી.પી. મકવાણા, જયદીપ મયાત્રા, ધર્મેશ સોલંકી સહિતના કોંગ્રેસના આગેવાનો દ્વારા દેખાવો યોજી રાજકોટ જિલ્લા કલેક્ટરને ઉગ્ર રજૂખાત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:44 am

ભાસ્કર એક્સક્લુસિવ:ડિફેન્સ સાયન્સ અને ટેક્નોલોજીમાં શ્રેષ્ઠ સંશોધન કરનારને સન્માન અને 10 લાખ સુધીના પુરસ્કાર

DRDO દ્વારા ડિફેન્સ સાયન્સ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં અસાધારણ સંશોધન કરનારા વ્યક્તિઓને માન્યતા અને સન્માન આપવા માટે અરજીઓ મંગાવી છે. UGC એ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને DRDOના 2024 અને 2025ના રાષ્ટ્રીય સ્તરના પુરસ્કારો માટે નોમિનેશન મોકલવા જણાવ્યું છે. કોલેજો અને યુનિવર્સિટીઓ 1 ડિસેમ્બર સુધીમાં નોમિનેશન મોકલી શકે છે. સંરક્ષણ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં અસાધારણ સંશોધન યોગદાન આપનારા વ્યક્તિઓને માન્યતા અને સન્માન આપવા માટે, DRDO ડૉ.કોઠારી રક્ષા વિજ્ઞાન પુરસ્કાર અને ડૉ.કલામ રક્ષા ટેક્નોલોજી પુરસ્કાર માટે અરજીઓ મગાવી છે. દરેક પુરસ્કાર હેઠળ એક પ્રશસ્તિ પત્ર અને રૂ.10 લાખનો રોકડ પુરસ્કાર અપાશે. કોણ નોમિનેશન કરી શકશે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશેનોટિસમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, કોઈપણ વ્યક્તિ દ્વારા સીધું મોકલાયેલું નોમિનેશન સ્વીકારવામાં આવશે નહીં. આ પુરસ્કારો સરકારી સંગઠનો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, ખાનગી સંગઠનો (શૈક્ષણિક, ઉદ્યોગ અને સંશોધન અને વિકાસ પ્રયોગશાળાઓ)માં કાર્યરત તમામ વ્યક્તિઓ માટે ખુલ્લા છે. આયોગે જણાવ્યું કે, નોમિનેશનમાં ફોર્મેટમાં નિર્દિષ્ટ તમામ સંબંધિત વિગતો શામેલ હોવી જોઈએ , જેમાં નામાંકિત વ્યક્તિ દ્વારા કરાયેલા મુખ્ય યોગદાન (લગભગ 100 શબ્દોમાં) અને દુનિયામાં અન્યત્ર ઉપલબ્ધ ટેક્નોલોજીના સ્તરની વિગતો સામેલ હોવી જોઈએ. ક્યો પુરસ્કાર શેના માટે આપવામાં આવશે DRDO આવી રીતે પુરસ્કાર વિજેતાઓની પસંદગી કરશે ​​​​​​​

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:41 am

છબરડા બહાર આવતા તારીખમાં બદલાવ:BCAનું પ્રોગ્રામિંગ ઇન પાયથોન વિષયનું પેપર 22મીએ લેવાશે

યુનિવર્સિટીની બીસીએની પરીક્ષામાં તાજેતરમાં જ છબરડા બહાર આવ્યા હતા જેમાં ઇન્ટર્નલ પરીક્ષાનું પેપર જ ફાઈનલ પરીક્ષામાં પૂછી લેતા વિવાદ થયો હતો, પરંતુ હવે આ પેપર રદ કરી દેવામાં આવ્યું છે અને આ વિષયની પરીક્ષા આગામી તારીખ 22 નવેમ્બરે લેવામાં આવશે. બીસીએ સેમેસ્ટર-5માં પ્રોગ્રામિંગ ઇન પાયથોન વિષયનું પેપર હવે 22મીએ સવારે 10.30 કલાક દરમિયાન લેવાશે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે, બી.સી.એ. સેમે-5ની (NEP-2020) થિયરી પરીક્ષાનું આયોજન તા. 11 નવેમ્બરથી થયું હતું. જેમાં તા.12 નવેમ્બરના વિષયનું પ્રશ્નપત્ર એક સરખું પૂછાતા તે તારીખનું થિયરીનું પેપર રદ કરાયું છે. તેમજ પ્રેક્ટિકલ પરીક્ષા પૂર્ણ થયેથી તા.22 નવેમ્બરના રોજ પરીક્ષાનું પુન: આયોજન કરવામાં આવ્યું છે. કોલેજમાં બી.સી.એ. સેમેસ્ટર-5ની તા.12ના પેપરની પરીક્ષાનું આયોજન તા.22મીએ સવારે 10.30 કલાકે રાખવામાં આવ્યું છે. અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન BCA સેમેસ્ટર-5ના પ્રોગ્રામિંગ ઇન પાયથોન વિષયના પેપર દરમિયાન પરીક્ષા વિભાગનો મોટો છબરડો બહાર આવ્યો હતો. આ મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ યુનિવર્સિટીમાં હલ્લાબોલ કર્યું હતું. યુનિવર્સિટીના કુલપતિ હાજર ન હોવાથી તેમના ઈન્ચાર્જ રજિસ્ટરને આવેદન આપી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:39 am

CBSE બોર્ડની શાળાઓને સૂચના:ધોરણ 10-12ની પ્રેક્ટિકલ પરીક્ષામાં માર્ક્સ ભરવામાં ભૂલ કરશો તો સુધારો નહીં થાય!

કેન્દ્રીય શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ, પ્રોજેક્ટ કામ તથા આંતરિક મૂલ્યાંકન 1 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી વચ્ચે યોજાનાર છે. આ પરીક્ષાઓને લઇ બોર્ડે પોતાની તમામ શાળાઓને સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે, વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ, પ્રોજેક્ટ તથા આંતરિક મૂલ્યાંકનના ગુણ અત્યંત સાવચેતીપૂર્વક ભરવા. બોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે, એકવાર ગુણ અપલોડ થયા બાદ તેમાં કોઈપણ પ્રકારની ભૂલનો સુધારો સ્વીકારવામાં નહીં આવે. તેથી શાળાઓએ દરેક પ્રક્રિયા સંપૂર્ણ સાવચેતી સાથે પૂર્ણ કરવાની રહેશે. સીબીએસઈ દ્વારા શાળાઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, તેઓ તમામ પ્રેક્ટિકલ પરીક્ષાઓ અને પ્રોજેક્ટનું સંચાલન નિર્ધારિત સમયમર્યાદાની અંદર યોગ્ય રીતે પૂર્ણ કરી લે, જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય. બોર્ડ દ્વારા મોકલેલી માહિતીમાં ક્યાં વિષયમાં પ્રેક્ટિકલ હશે, ક્યામાં પ્રોજેક્ટ અને તેના ગુણ કેટલા હશે તેની વિષયવાર વિગતવાર માહિતી પણ આપવામાં આવી છે. બોર્ડે નોંધ્યું છે કે, ઘણી વખત શાળાઓ પ્રેક્ટિકલ, પ્રોજેક્ટ અને આંતરિક મૂલ્યાંકનના ગુણ ભરતી વખતે ભૂલ કરી બેસે છે. આથી, કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય તે માટે બોર્ડે વિસ્તૃત માહિતી પૂરી પાડી છે. બોર્ડે શાળાઓને સ્પષ્ટ સૂચના આપી છે કે, તેઓ આ પરિપત્ર દ્વારા આપવામાં આવેલી માહિતીને ધ્યાનથી વાંચે અને પછીથી વિવિધ બહાના આપીને પોતાની ભૂલ સુધારવાની વિનંતી ન કરે. કેન્દ્રીય શિક્ષણ બોર્ડે તાજેતરમાં જે સૂચનાઓ જાહેર કરી છે તે રાજકોટ સહિત તમામ સીબીએસઇ શાળાઓને લાગુ પડશે. બોર્ડે દરેક શાળાને પ્રાયોગિક અને આંતરિક મૂલ્યાંકનની વિસ્તૃત ગાઇડલાઇન આપી છે રાજકોટમાં 8 હજારથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપે છેસીબીએસઈ બોર્ડ પરીક્ષામાં દેશભરમાં આશરે 40 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપે છે. ગયા વર્ષે રાજકોટમાં આશરે 8 હજારથી વધુ વિદ્યાર્થીઓ સીબીએસઈ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપી હતી. આ વર્ષે પણ રાજકોટ સહિત દેશભરમાં જે વિદ્યાર્થીઓ ધોરણ-10 અને 12ની પરીક્ષા આપવાના છે તેની પહેલાં જાન્યુઆરીમાં બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાની છે તેના માટે બોર્ડે સૂચનાઓ જાહેર કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:38 am

ગ્રંથ પૂજનનો કાર્યક્રમ યોજાયો:ગ્રંથાલય સપ્તાહની ઉજવણી અંતર્ગત ગીતા ગ્રંથનું પૂજન કરાયું

સમગ્ર રાષ્ટ્રમાં 14 નવેમ્બરથી 20 નવેમ્બર રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રષ્ટ દ્વારા માધવ કૉમ્યુનિટી હોલ ખાતે સાહિત્ય પરિસંવાદ તથા ગ્રંથ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. સાહિત્ય પરિસંવાદમાં માનવીના જીવનમાં વાંચન અને પુસ્તકનું કેટલું મહત્ત્વ રહેલું છે જેનો સંવાદ થયો, વાંચન થકી જ કોઈ પણ માનવી પ્રભાવી બની શકે છે. માનવીને વિચારોના યુદ્ધમાં પુસ્તક જ શસ્ત્રો છે. એ ઉપરાંત જીવનમાં ધનબળ, શક્તિબળ, આયુષ્યબળ કરતાં પણ ચડિયાતું બળ પુસ્તક બળ છે. જેવો સંવાદ થયેલ અને ગ્રંથપૂજન કાર્યક્રમમાં ગીતાજી જેવા પવિત્ર ગ્રંથ કે જેમાં જીવનના દરેક પ્રશ્નોના જવાબ છે. તેવા ગ્રંથનું શાસ્ત્રોક્ત વિધિ સાથે પુષ્પ વર્ષા દ્વારા પૂજન કરવામાં આવેલ. આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના આશીર્વાદ પણ રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટના ડો.રાજેશભાઈ ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:36 am

યુવા ડાન્સર વધાર્યું રાજકોટનું ગૌરવ:આંતરરાષ્ટ્રીય મંચ પર રાજકોટના યુવા ડાન્સરનું ટોપ 4માં સ્થાન

આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના યુવાનો પોતાની કલા થકી અનેકવાર ભારતનું નામ રોશન કર્યું છે ત્યારે ફરી એક વાર રાજકોટના યુવા ડાન્સરે ભારતનું નામ રોશન કર્યું છે. જેમાં વર્લ્ડ ઓફ ડાન્સ 2025 – લંડન સ્પર્ધામાં સોલો પરફોર્મર તરીકે કેયૂર વાઘેલાએ પોતાની કલાત્મક ક્ષમતા દર્શાવી વિશ્વભરના શ્રેષ્ઠ ડાન્સર્સ વચ્ચે ચોથું સ્થાન મેળવ્યું. તેમની ડાન્સ જર્નીની શરૂઆત ખૂબ નાની ઉંમરે થઈ હતી. 12 વર્ષના સંઘર્ષ બાદ આજે તે વિશ્વ મંચનો સ્ટાર બન્યો છે. 30 વર્ષીય યુવા ડાન્સરે અત્યાર સુધી 70થી વધુ એવોર્ડ પોતાના નામે કર્યા છે. જેમાં સ્વિટ્ઝર્લેન્ડ વેરિઅન્ટના ફાઈનલ સુધી પહોંચવાની સિદ્ધિ પણ સામેલ છે. એમ.બી.એ.ના અભ્યાસ સાથે ડાન્સના સ્વપ્નને ટકાવી રાખનાર આ યુવા ડાન્સરે તમામ યુવા કલાકારો માટે પ્રેરણા રૂપ બન્યો છે. તેઓ પહેલાથી જ “ડાન્સ દીવાના’ સિઝન 4 (યુકે ઓડિશન) જીતીને ચર્ચામાં આવ્યા હતા. આ પહેલા તેઓએ ગયા વર્ષે સ્વિત્ઝર્લેન્ડ ખાતે યોજાયેલ વર્લ્ડ ઓફ ડાન્સ 2024માં ભાગ લીધો હતો. જેમાં તેઓ ફાઇનલિસ્ટ બન્યા હતા અને બીજી વાર વધુ મહેનત કરી આ વખતે ચોથો ક્રમ મેળવ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:35 am

ભાસ્કર એક્સક્લુસિવ:સોનાનું સિંહાસન, ચાંદીના દ્વાર ; 4 કરોડના ખર્ચે 200 વર્ષ પૌરાણિક મંદિરની પુન:પ્રાણપ્રતિષ્ઠા થશે

શહેરની ભાગોળે પાળ ગામ ખાતે આવેલા શ્રી નકલંક મંદિર (ઠાકરદ્વારો) સંત શ્રી આંબેવપીર ધામનો ભવ્ય પુન:પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તા.26 નવેમ્બર બુધવારથી તા.5 ડિસેમ્બર શુક્રવારના રોજ યોજાશે. 200 વર્ષ પૌરાણિક આ મંદિરની પુન:પ્રાણપ્રતિષ્ઠા કરાઇ જેમાં અયોધ્યા મંદિરની જેમ બંસીપાલ પથ્થરથી 4 કરોડના ખર્ચે આ મંદિર બનાવાયું છે. જેમાં ભગવાનને સોનાનું સિંહાસન, ઠાકોરજીના મુગટ સોનાના તથા નીજ મંદિરના દ્વાર ચાંદીના બનાવાયા છે. આ મંદિરમાં આંબેવપીર બાપાની સમાધિ પણ છે. આ અવસર પર ગામમાં ઘેર-ઘેર રંગોળી, પુષ્પથી સજાવટ તથા ગામના દરેક દેવસ્થાનને સુશોભિત કરવામાં આવશે. આ ભવ્ય આયોજનમાં તા.26થી 28 ત્રણ દિવસ વિષ્ણુયાગ યજ્ઞ, તા.28એ બપોરે બીડું હોમાશે, 27મીએ સેવક ગણ દ્વારા બાપાની નગરયાત્રા તથા રાત્રે 9 વાગ્યે લોકડાયરો યોજાશે, 29મીએ સવારે 8 વાગ્યે કથાના વક્તા સુરતના 1008 મહામંડલેશ્વર ક્ષિપ્રાગીરીબાપુ દ્વારા પોથીયાત્રા નીકળશે. રાત્રે સંત આંબેવપીર બાપાનું આખ્યાન, 30મીએ રાત્રે 9 વાગ્યે રામામંડળ, તા.1 ડિસેમ્બરે 9 વાગ્યે શ્રીનાથજીની ઝાંખી તથા 45 કલાકાર દ્વારા ઠાકોરજીના 8 પહોરના દર્શન રજૂ કરાશે, તા.2ના રોજ લોકડાયરો, તા.3ના રોજ પરંપરાગત પહેરવેશમાં ભવ્ય સમૂહરાસ, તલવારબાજી, મણિયારો રાસ, મહેર સમાજનો રાસ રજૂ થશે. બપોરે 5 વાગ્યે ઇશ્વરિયા ગામથી ઠાકોરજી અને રુક્મિણી માતાના લગ્ન અવસરે 8થી 10 હજાર લોકોની જાન આવશે, તા.4ના રોજ રાત્રે 9 વાગ્યે રામધૂન, તા.5ના રોજ 11 દીકરીના સમૂહલગ્ન અને કથાની પૂર્ણાહુતિ થશે. આ તકે આંબેવપીર ભગત પરિવારના ધર્મગુરુ સંજયદાસબાપુ, ઘનશ્યામગીરીબાપુ, રબારી સમાજના કનીરામબાપુ, નાનાભાઇ ભરવાડ સમાજના ધર્મગુરુ રામબાપુ તથા સતાધારના વિજયબાપુ સહિતના અનેક સંતો-મહંતોની ઉપસ્થિતિ રહેશે. આ મંદિર 18 વરણના આસ્થાનું પ્રતીક તથા જે લોકો દ્વારકા ન પહોંચી શકે તે દરેકનું દ્વારકા છે. આ તકે 4 લાખ ભક્તોનું આયોજન કરાયું છે. આંબાબાપાનો રોટલો શ્રીકૃષ્ણ જમવા આવ્યા હતા

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:34 am

ભાસ્કર ઈનસાઈડ:હાથીખાના-ચોખંડીના 3 વેપારીઓનો 738 કિલો તેલનો જથ્થો સીઝ કરાયો

પાલિકામાં મળેલી સંકલનની બેઠકમાં સિનિયર ધારાસભ્યે તેલ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓમાં થતી ભેળસેળ સામે કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું ત્યારે પાલિકાની ખોરાક શાખાની ટીમે ચોખંડી, ખોડીયારનગર અને હાથીખાના માર્કેટ યાર્ડમાં 738 કિલો તેલનો જથ્થો સીઝ કર્યો હતો. ખોરાક શાખાને તેલમાં ભેળસેળની શંકા જતા કાર્યવાહી કરી હતી. પાલિકામાં ગત શનિવારે સાંસદ અને ધારાસભ્યોની સંકલનની બેઠક મળી હતી. જેમાં સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે તેલમાં થતી ભેળસેળ અને વારંવાર એક જ વેપારી દ્વારા ભેળસેળ કરવામાં આવતું હોવાનું ખુલ્યું હોવા છતાં તેમની સામે કડક કાર્યવાહી નથી થતી તેવી ફરિયાદ કરી હતી. જેના પગલે ખોરાક શાખાની ટીમે ચોખંડી વિસ્તારમાં આવેલી અમરનાથ ટ્રેડિંગ કંપનીમાં ચેકિંગની કામગીરી કરી હતી. જ્યાં કપાસિયા તેલનો નમૂનો લેતા તે શંકાસ્પદ જણાયો હતો. જેના પગલે રૂ. 69368ની કિંમતનો 478 કિલો તેલનો જથ્થો સીઝ કર્યો હતો. તેવી જ રીતે હાથીખાના વિસ્તારમાં આવેલી પ્રભુલાલ એન્ડ સન્સ હોલસેલની દુકાનમાં ચેકિંગ દરમિયાન સીંગતેલનો 17,923ની કિંમતનો 103 કિલો જથ્થો સીઝ કર્યો હતો. ખોરાક શાખાની ટીમે ખોડીયારનગરમાં મિષા એન્ટરપ્રાઇઝમાં પણ ચેકિંગ કર્યું હતું. જ્યાં પામોલીન તેલનો નમૂનો શંકાસ્પદ જણાયો હતો અને તેના કારણે ₹19,292ની કિંમતનો 148 કિલો જથ્થો સીઝ કર્યો હતો. રિપોર્ટ આવતા પહેલા તેલનો જથ્થો લોકો સુધી ન પહોંચે એટલે સીઝ કરવામાં આવ્યોતહેવારોમાં લેવાતા નમૂના ને ચકાસણી માટે મોકલતા 15 દિવસ બાદ તેનો રિપોર્ટ આવે છે. તહેવારોમાં ખોરાક શાખાએ જે નમૂનો લીધો છે તે ખાદ્ય ચીજવસ્તુને હજારો લોકો વેપારીને ત્યાંથી ખરીદી કરી આરોગે છે. ખાદ્ય ચીજવસ્તુબીઅનસેફ કે સબ સ્ટાન્ડર્ડ જણાય તો કાર્યવાહી થાય છે. તેવામાં એક જ વેપારીને ત્યાંથી વારંવાર તેલ, દૂધ, પનીર, મસાલા સહિતની ચીજવસ્તુઓમાં ભેળસેળ મળે તો તેનું લાઇસન્સ રદ કરવાની જરૂરિયાત છે. તેલના નમુના લઇ 738 કિલો તેલનો જથ્થો સીઝ કર્યો છે. સીઝ કરેલો શંકાસ્પદ જથ્થો રિપોર્ટ આવ્યા પહેલા લોકો સુધી ના પહોંચે. અગાઉ પાલિકાની સભામાં ભેળસેળની ફરિયાદ ઉઠી હતીપાલિકાની સામાન્ય સભામાં ઘી તેલ દૂધ મસાલા સહિતની ચીજ વસ્તુઓમાં ભેળસેળ થતી હોવાનો મુદ્દો ઉઠાવી તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવતા હોય છે. એક જ વેપારી વારંવાર ભેળસેળયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ વેચતો હોવા છતાં તેની સામે કડક કાર્યવાહી થતી નથી. પાલિકા હવે ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ વેચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાનું મન બનાવ્યું છે. કિશનવાડી- ફતેગંજથી દૂધ અને ઘીના નમૂના લીધાખોરાક શાખાની ટીમે કિશનવાડી વિસ્તારમાં બે રિટેલર યુનિટમાં ચકાસણી કરી ગાયનું દૂધ અને ઘીનો નમૂનો લીધો હતો. ફતેગંજની રેસ્ટોરન્ટમાંથી પનીર બટર મસાલા અને મસૂરદાળનો નમૂનો લઇ તેને તપાસ માટે લેબોરેટરી ખાતે મોકલી આપ્યા હતા. તુલસીદાસ ચાર રસ્તા પાસે 19 લારી અને 7 ફૂડ વેડિંગ એસ્ટાબ્લિસ્ટમેન્ટમાં ચેકિંગ કર્યું હતું. એક સ્થળેથી સિન્થેટિક ફૂડ કલર મળતા નાશ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:31 am

આજે મનપાના જનરલ બોર્ડમાં 12 દરખાસ્ત:લાંબા સમયે વિપક્ષનો પ્રથમ પ્રશ્ન, ફ્લાવર બેડ-રોડ મુદ્દે હંગામો થશે

રાજકોટ મનપાની જનરલ બોર્ડની બેઠક આજે મળનાર છે જેમાં પ્રથમ પ્રશ્ન વિપક્ષના નેતા વશરામ સાગઠિયાનો ફ્લાવર બેડને કારણે અટકેલા બીયુપી અને રોડ-રસ્તાના છે જે મુદ્દે સાધારણ સભા ગુંજશે. જેમાં આ વખતે શાસક પક્ષ ગાડી બીજા પાટે ચડાવવા ધમાલ બોલાવે તેવી શક્યતા સેવાઇ રહી છે. જનરલ બોર્ડમાં 15 કોર્પોરેટરે કુલ 25 પ્રશ્ન પૂછયા છે જેમાં ભાજપના 12 કોર્પોરેટરે 17 અને કોંગ્રેસના 3 કોર્પોરેટરે 8 પ્રશ્નો પૂછ્યા છે. જનરલ બોર્ડના એજન્ડામાં કુલ 12 દરખાસ્તનો સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. વશરામભાઇ સાગઠિયા ઉપરાંત વિનુભાઇ સોરઠિયાએ આરોગ્ય શાખા દ્વારા ચાલુ વર્ષમાં કેટલી વાર પેકેજ્ડ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. ફૂડ શાખા દ્વારા જુદી-જુદી વસ્તુઓના સેમ્પલ લેવા માટે શું નિયમ છે? ફૂડ લાઇસન્સ ઇસ્યૂ કરવા માટે શું પ્રક્રિયા છે? લાઇસન્સની વેલિડિટી કેટલી? ચાલુ વર્ષે કેટલા નવા લાઇસન્સ અપાયા અને કેટલા રિન્યૂ કરાયા?તે સહિતની માહિતી માગી છે. જ્યારે વોર્ડ નં.4ના કોર્પોરેટર કાળુભાઇ કુંગશિયાએ મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટ ભાડે આપવા શું પોલિસી છે? ચાલુ વર્ષે કુલ કેટલા પ્લોટ કેટલો સમય ભાડે આપવામાાં આવ્યા છે અને કેટલી આવક થઇ છે? તે સવાલ ઉઠાવ્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:31 am

રિક્ષાચાલક ઈજાગ્રસ્ત થયો:નવાયાર્ડના લાલપુરામાં રિક્ષાચાલક ખાડો જોવા ગયો, આડશ સાથે ખાડામાં પડી જતાં ઈજાગ્રસ્ત

નવાયાર્ડમાં આવેલા લાલપુરાની નજીક ગટર લાઈનનું કામ ચાલી રહ્યું છે. ત્યારે વિસ્તારનો એક રીક્ષા ચાલક ખાડો જોવા જતા તે આડસની સાથે ખાડામાં પડી ગયો હતો. જેને પગલે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શહેરમાં અનેક જગ્યાએ ખાડા ખોદી નાંખતા શહેરીજનોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. નવાયાર્ડમાં આવેલા લાલપુરામાં રહેતા 35 વર્ષીય કલ્પેશ પટેલ રીક્ષા ચલાવીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે. છેલ્લા 15 દિવસથી લાપપુરાની બહાર ગટર લાઈનનું કામ ચાલી રહ્યું છે. જેથી એક બાજૂનો રોડ બંધ હાલતમાં છે. ખાડાની આસપાસ આડસો ઊભી કરવામા આવી છે. રીક્ષા પાર્ક કરીને રસ્તો ઓળંગીને ઘર તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન જ્યાં ગટર લાઈનનું કામ ચાલી રહ્યું છે ત્યાં તે જોવા માટે ગયો હતો. ત્યારે તે આડસની સાથે ખાડમાં પડ્યો હતો. ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કલ્પેશને બહાર કાઢી 108 દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કલ્પેશને માથાના ભાગમાં અને હાથ પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલમાં કલ્પેશ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કલ્પેશના પગ હાલમાં કામ કરતાં બંધ થઈ ગયાકલ્પેશ સાંજે ઘરે આવી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. તે બાદ તેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તબીબો તેના પગમાં મારે છે તો તે પગ હલાવતો નથી, કોઈ પ્રતિસાદ આપતો નથી. હાલમાં તેની સારવાર ચાલી રહી છે. > કલ્પેશની માતાની સાથે થયેલી વાતચીત અનુસાર

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:29 am

માધાપરની કિંમતી જમીન મામલે માત્ર બે માસમાં અપાયો ચુકાદો:રઘુવીર ઇન્ડસ્ટ્રીઝને 51 વર્ષ પૂર્વે અપાયેલી રૂ.20 કરોડની જમીન ખાલસા કરવા હુકમ

રાજકોટની ભાગોળે માધાપર ગામે રઘુવીર ઇન્ડસ્ટ્રીઝને અપાયેલી અંદાજે રૂ.20 કરોડની બજારભાવની 19745 ચો.મી. સરકારી ખરાબાની જમીન ખાલસા કરવાનો અને સરકારમાં દાખલ કરવાનો રાજકોટ સિટી પ્રાંત-2એ હુકમ કર્યો છે. રાજકોટ સિટી પ્રાંત અધિકારી કચેરી-2ના સૂત્રોએ જણાવ્યા અનુસાર રાજકોટ તાલુકાના માધાપર ગામે સરકારી ખરાબાની સરવે નં.111 પૈકીના પ્લોટ નં.1,2 અને 3ની મળીને કુલ 19745 ચો.મી. જમીન જિલ્લા કલેક્ટર દ્વારા તા.15-4-1974ના હુકમથી રઘુવીર ઇન્ડસ્ટ્રીઝને ફાળવવામાં આવી હતી. રઘુવીર ઇન્ડસ્ટ્રીઝના સત્તાધીશો દ્વારા સને 2004થી લઇને અત્યાર સુધીમાં અલગ-અલગ વર્ષમાં કુલ 8 વખત કલેક્ટર તંત્રની પૂર્વ મંજૂરી લીધા વગર ભાગીદારી પેઢીમાં ફેરફાર કરી શરતભંગ કરાયાની હકીકત પ્રકાશમાં આવી હતી. જે અંગે મામલતદારે તપાસ કરી રિપોર્ટ આપ્યા બાદ શરતભંગનો કેસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પક્ષકારોને પૂરતી તક આપવામાં આવી હતી. અંતે રઘુવીર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વહીવટી તંત્રની મંજૂરી વગર ભાગીદારી પેઢીમાં વખતોવખત ફેરફાર કરાયાનું સાબિત થતા આસિસ્ટન્ટ કલેક્ટર મહેક જૈન દ્વારા આ તમામ જમીન ખાલસા કરી સરકારમાં દાખલ કરવા હુકમ ફરમાવવામાં આવ્યો છે. વર્તમાન બજાર કિંમત મુજબ આ જમીનની કિંમત રૂ.20 કરોડથી પણ વધુ થવા પામે છે. આ કેસમાં માત્ર બે માસમાં ચુકાદો આપી દેવાયો હતો. કંપનીમાં હાલમાં ભાગીદાર તરીકે રાજેશ જયવંત મહેતા, કલ્પેશ હરિશકુમાર પલાસણા અને મયૂર ટપુભાઇ દાસાણી છે. અગાઉના પ્રાંતે શા માટે કેસ ન ચલાવ્યો તે તપાસનો વિષયમામલતદારે 2021માં શરતભંગ થતો હોવાનો રિપોર્ટ આપ્યા બાદ ચાર વર્ષમાં 3થી વધુ પ્રાંત અધિકારીઓ બદલાઇ ચૂક્યા હતા, પરંતુ એકપણ પ્રાંત અધિકારીએ આ કેસ ન ચલાવતા અનેક શંકા-કુશંકાઓ ઊભી થઇ છે અને સરકારી હિત જોખમાતું હોવા છતાં અગાઉના પ્રાંત અધિકારીઓએ શા માટે કેસ ન ચલાવ્યો તે તપાસનો વિષય છે તેવો સૂર ઉઠ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:28 am

અકસ્માત:કિશનવાડીમાં ડોર-ટુ-ડોરના દારૂ પીધેલા ડ્રાઈવરે પ્રૌઢને અડફેટે લેતાં ઈજાગ્રસ્ત

કિશનવાડી ખાતે ડોર-ટુ -ડોર વાહનની આગળ ગાય આવતા દારૂ પીધેલા ડ્રાઈવરે રોડની સાઈડમાં ઊભેલા પ્રૌઢને અડફેટે લેતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. અકસ્માત થતા વિસ્તારના લોકોએ ડ્રાઈવરને ઘેરી લીધો હતો અને તેને પોલીસને હવાલે કર્યો હતો. શહેરમાં અનેક એવી ઘટનાઓ સામે આવી છે, જેમાં ડોર-ટૂ-ડોરના વાહને રાહદારીઓ -વાહનચાલકોને અડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે મંગળવારે શહેરના કિશનવાડી વિસ્તારમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. કિશનવાડીમાં રહેતા 56 વર્ષી રમેશ વસાવા રાત્રી જમીને ઘરની બહાર ઊભા હતા. આ દરમિયાન એક ડોર- ટુ- ડોરનું વાહન પૂર ઝડપે આવ્યું હતુ અને રમેશ વસાવાને અડફેટે લીધા હતા. ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ડ્રાઈવરને ઘેરી લીધો હતો. ડ્રાઈવર ચિક્કર દારુ પીધેલી હાલતમાં હતો. લોકોએ વાહનમાં દારૂની થેલી પણ પણ જોઈ હતી. રમેશભાઈને સામાન્ય ઈજા પહોંચતા તેઓને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી બાજૂ દારૂ પીધેલા ડ્રાઈવરને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગાડીના આગળ ગાય આવી જતા ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યું હતું. ડોર-ટુ-ડોર કોન્ટ્રાક્ટરને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યોડોર-ટુ-ડોરના વાહનો અનેક વાર લોકોને અડફેટે લઈને અકસ્માત સર્જતા હોય છે. ત્યારે કિશનવાડીમાં બનેલી ઘટનાને પાલિકા તંત્રએ ધ્યાને લેતા ડોર-ટુ-ડોરનો કોન્ટ્રાક્ટ ધરાવતી વેસ્ટર્ન ઈમેજનરી ટ્રાન્સકોન પ્રાઈવેટ લીમીડેટને 1 લાખનો દંડ ફટકાર્યો છે. આ સાથે કપંનીના તાકીદ કરવામાં આવી છે,કે જે અકસ્માત કરનાર ડ્રાઈવરની બદલી કરવામાં આવે. આ સાથે આવનાર સમયમાં આ પ્રકારની ઘટના બનશે તો કોન્ટ્રાક્ટ રદ્દ કરવામાં આવશે, તેવું પાલિકાના આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:27 am

સિટી એન્કર:વર્લ્ડ ટોઇલેટ ડે: રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં 4 શૌચાલયનું લોકાર્પણ

બુધવારે વિશ્વ શૌચાલય દિવસ હતો ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સુઘડ અને સ્વચ્છતાના રેન્કિંગમાં નંબર વન બનાવવા કવાયત ચાલી રહી છે. તેના ભાગરૂપે લોકો જાહેરમાં શૌચક્રિયા ન કરે તે માટે ટ્રાફિકથી ધમધમતા ચાર મુખ્ય ચોકમાં એસ્પિરેશન ટોઇલેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેમાં ગોંડલ રોડ ચોકડી, રામાપીર ચોકડી, નાનામવા ચોક, જડ્ડુસ બ્રિજનો સમાવેશ થાય છે. આ ચાર જાહેર શૌચાલયને કારણે જાહેર માર્ગો પરથી પસાર થતા 3 લાખથી વધુ લોકોને સુવિધા ઉપલબ્ધ થશે અને તેનો લાભ હજારો લોકો દરરોજ લઇ શકશે. મનપાના સોલિડ વેસ્ટ વિભાગના સૂત્રોએ જણાવ્યા અનુસાર આજે વર્લ્ડ ટોઇલેટ ડે હોવાથી સમગ્ર રાજ્યમાં લોકોને વધુમાં વધુ જાહેર શૌચાલયની સુવિધા મળી રહે તે માટે આયોજન કરવા તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને સૂચના આપવામાં આવી હતી. જેમાં સૌથી વધુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અંદાજે રૂ.1 કરોડના ખર્ચે ચાર જાહેર શૌચાલય બનાવી તેના ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે. આ જાહેર શૌચાલયમાં 10 સીટની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. મહાનગરપાલિકાએ આ ચારેય સ્થળે એસ્પિરેશન ટોઇલેટ એટલે કે સક્શન આધારિત ટોઇલેટ એટલે કે એરપોર્ટ, રેલવે સ્ટેશન જેવી જગ્યાએ બનાવવામાં આવતા ટોઇલેટ જેવી ઓછું પાણી વપરાય અથવા ઘણીવાર પાણીની જરૂર ન પડે તે પ્રકારના ટોઇલેટ બનાવ્યા છે. તેમજ આ ટોઇલેટનો લાભ પુરુષ, મહિલા ઉપરાંત દિવ્યાંગો, બાળકો લઇ શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. તેમજ તમામ ટોઇલેટમાં વેન્ડિંગ મશીનની સુવિધા પણ ઉપલબ્ધ કરાઇ છે. તમામ શૌચાલયમાં આ સુવિધા અને બાબતનું રખાયું છે ધ્યાન 01) પાણી પુરવઠો અને વીજળી 02) નળ, અરીસો, સાબુ, ડિસ્પેન્સર અને કચરાપેટી 03) શૌચાલય અને સ્થાન માટે દિશા નિર્દેશક સંકેતો 04) ઓ એન્ડ એમ માટે આવક મોડલ જેમ કે જાહેરાત, કિઓસ્ક વગેરે માટેની જગ્યા 05) દરેક ક્યુબીકલમાં કચરાપેટી (મહિલાઓ માટે) 06) ટ્રાન્સજેન્ડર ક્યુબીકલ 07) બાળ મૈત્રીપૂર્ણ ક્યુબીકલ, યુરિનલ-વોશબેસિન 08) સેનિટરી નેપકિન્સ માટે વેન્ડિંગ મશીન 09) શૌચાલયની આગળની દીવાલનું સુંદરીકરણ

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:26 am

ભાસ્કર ઈનસાઈડ:વેપારી અને મહિલા મિત્રનું અપહરણ કરી ખંડણી વસૂલવાના કેસમાં 1 હવાલદાર સહિત 2 ઝડપાયા

પોલીસની ઓળખ આપી વેપારી અને યુવતીનું અપહરણ કરી ખંડણી વસૂલવાના મામલામાં માંજલપુર પોલીસે એક અસલી પોલીસ સહિત બે આરોપીને ઝડપી પાડ્યા છે.જ્યારે માંજલપુર પોલીસ અન્ય અસલી પોલીસ સહિત બે આરોપીની શોધખોળ ચલાવી રહી છે. વેપારીની મહિલા મિત્રની ભૂમિકા અંગે પણ પોલીસ ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે. માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી કે. ભરૂચથી કપડાંનો વેપારી મહિલા મિત્રને લઈ અત્રે આવ્યો હતો. તે વેપારી અને યુવતીનું અપહરણ કરી ખંડણી વસૂલી હોવાનો બનાવ બન્યો હતો.જેમાં નકલી એસઓજી બનેલા પોલીસ વિભાગના બે અસલી જવાનોની સંડોવણી બહાર આવી છે. એ પૈકી નકલી એસઓજી જવાન બનેલા યાજ્ઞિક રમણભાઈ ચાવડાને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી સેન્ટ્રલ જેલ ખાતે સિપાઈ તરીકે ફરજ બજાવે છે. ગત 12 તારીખે સવારે ભરૂચના વેપારી અફવાન પોતાની મહિલા મિત્ર અને અન્ય મિત્ર સાથે એમ.એસ.યુનિવર્સિટીમાં એડમિશનના કામે ઈનોવા લઈને આવ્યા હતા. કામ ત્રણ પરત ભરૂચ જવા દોઢ વાગે નીકળ્યા હતા. એમની ઈનોવા કાર સુસેન સર્કલ ઉપર પહોંચે તે પહેલાં એસ.આર.પી ગ્રૂપ પાસે એક સફેદ કલરની સ્કોર્પિયો કારે આંતરી ઊભી રખાવી હતી. અને એમાંથી ખાખી કલરનું પેન્ટ પહેરેલો એક વ્યક્તિ અન્ય વ્યક્તિઓ સાથે ઉતર્યો હતો. અને અંદર બેસી જઈ પોલીસ હોવાનું જણાવ્યું હતું.અને મહિલા મિત્રને નીચે ઉતરી કોઈ મેડમ પાસે લઈ જવા માટે સફેદ સ્કોર્પિયો ગાડી માં લઈ ગયા હતા. બાદમાં વેપારીની કાર અમદાવાદ એક્સપ્રેસ વે ઉપર થઈ લઈ લેવા જણાવ્યું હતું.અને રસ્તામાં પોતે અમદાવાદ એસઓજીના જવાનો છીએ તું કેવા ધંધા કરે છે. એની અમને ખબર છે.અમે ડિટેન કરેલી યુવતીએ બધી કબૂલાત કરી લીધી છે. તેમ કહી 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. બાદમાં કાર એક્સપ્રેસ હાઈવેના અમદાવાદ સીટીએમ નાકે પહોંચી હતી. અંતે વેપારીએ 4 લાખ આપવાની તૈયારી દર્શાવતા અફવાનને પરત વડોદરા લવાયો હતો. બાદમાં એના ભાઈ સાથે ફોન પર વાત કરતાં ભરૂચથી 4 લાખ લઈ તાત્કાલિક વડોદરા પહોંચવા જણાવ્યું હતું. અને ફોન કરી લાલબાગ પાસે આવેલા એટીએમમાં રૂપિયા મૂકી દેવા માટે જણાવ્યું હતું. 4 લાખ મળી ગયા બાદ અફવાન ને છોડી દીધો હતો. પરંતુ મોબાઇલ ફોન પરત આપ્યો ન હતો. બીજા દિવસે ફોન કરી એક રૂપિયા આપી ફોન પરત લઈ જવાનું કહ્યું હતું. અંતે વેપારીને નકલી પોલીસની શંકા જતાં ફરિયાદ નોંધાઈ હતી. અને તપાસમાં આખો મામલો બહાર આવ્યો છે. રાત્રે ફરિયાદની વિગતો જાહેર થઈ જતાં જેલની ડ્યુટીમાંથી આરોપી ભાગ્યો, રિસેસમાં ખેલ પાડ્યોઅપહરણ અને ખંડણી માંગવાની ફરિયાદમાં વેપારી સાથે સમાધાનની વાત આરોપીઓ ચલાવી રહ્યા હતા.પરંતુ પોલીસે ફરિયાદ નોંધી વિગતો ગુપ્ત રાખી હતી.જે રાત્રી દરમિયાન વિગતો જાહેર થઈ જતા. રાત્રે જેલ ઉપર 8 વાગ્યાથી ડ્યૂટી ઉપર રહેલા હવાલદાર કાનાભાઈ કુંભાર રાત્રિના 3.15 વાગે ચાલુ ડ્યુટી છોડી ભાગી ગયા હતા.જેની પોલીસ શોધખોળ કરી રહી છે. બીજી તરફ બનાવના દિવસે જેલના કર્મચારી આરોપી કાના એ બપોરની રિશેસ ના સમયનો લાભ લીધો હતો.જ્યારે યાજ્ઞિક એ પ્લાન મુજબ અગાઉથી રજા લઈ લીધી હતી.બંને ભેગા થઈ નકલી એસ.ઓ.જી જવાન બન્યા હતા.અને ઘટનાને અંજામ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:26 am

ફોટો ઈન્વેસ્ટિગેશન:DILR કચેરીમાં અનેક ખેડૂતોની જમીનના દસ્તાવેજો અને કર્મચારીઓના જીવ જોખમી જીવતા વીજવાયરના ભયના ઓથાર નીચે!

રાજકોટની ડીઆઈએલઆર કચેરી કે જ્યાં જિલ્લાના અનેક ખેડૂતોના જમીનોના કાગળો અને નકશાઓ છે. આ કચેરીની જરૂરિયાત માત્ર ખેડૂતો જ નહિ પણ સરકારી જમીનો માટે પણ થાય છે. જે જોતા ત્યાં રેકર્ડની જાળવણી મહત્ત્વની છે. જોકે રાજકોટની કચેરીમાં માર્ગ અને મકાન વિભાગની બેદરકારી અને ડીઆઈએલઆર કચેરીના વડાની આળસને કારણે ફોલ્સ સીલિંગ એટલે કે પીઓપીમાંથી જીવતા વીજવાયર બહાર નીકળી ગયા છે અને તે વીજવાયરો વચ્ચે કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ગમે ત્યારે અકસ્માત અને આગ લાગવાની શક્યતા છે. કર્મચારીઓના જીવ અને કિંમતી ડોક્યુમેન્ટ બધું જ જોખમમાં છે છતાં તે અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જાણે તંત્રને અકસ્માત બાદ જ કોઇ કર્મચારીનો ભોગ લેવાય ત્યારબાદ કામ કરવાની ટેવ પડી છે. આગ લાગી તો ભ્રષ્ટાચારીઓ દસ્તાવેજના ભાવ વધારી દેશે! ડીઆઈએલઆર, સિટી સરવે સહિતની કચેરીઓ ભ્રષ્ટાચારથી ખદબદે છે. ખેડૂતને તેની માપણીના દસ્તાવેજ, સમયસર માપણી, રોજકામ, ટીપણ, ગામના સીમતળ જેવા નકશા સરળતાથી મળતા નથી. એજન્ટ મારફત લાંચ આપવી પડે તો જ કામ થાય છે. જીવતા વાયરને કારણે જો નાની અમથી આગ લાગી તો એજન્ટ કાગળ બળી ગયાનું બહાનું કાઢી દસ્તાવેજ કઢાવવાનો ભ્રષ્ટાચાર વધારી દેશે. અધિકારીઓ આવું જ તો નથી ઇચ્છતાને તે પણ કામ ન કરવા પાછળનું કારણ હોઇ શકે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:25 am

ભાસ્કર એક્સક્લૂસિવ:મ.સ.યુનિ.માં124 વિદેશી છાત્રે પ્રવેશ મેળવ્યો, સૌથી વધુ 47 બાંગ્લાદેશના

મ.સ.યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષે 75 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો જેમાં 49નો વધારો થયો છે. આ વખતે 124 વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જેમાં આફ્રિકન દેશો સહિત અમેરીકા, ફાન્સ, જપાનના વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. યુનિ.માં કુલ 550 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. યુનિ.માં છેલ્લા એક દશકાથી વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. દર વર્ષે 25થી વધારે દેશોના વિદ્યાર્થીઓ યુનિ.માં પ્રવેશ મેળવે છે. આ વર્ષે 31 દેશોના વિદ્યાર્થીઓ વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ લીધો છે. સૌથી વધુ 30 વિદ્યાર્થીઓ આર્ટસ ફેકલ્ટીમાં પ્રવેશ લીધો છે. ે જેમાં સ્કોલરશીપ તરફથી 106, સ્વખર્ચે 16 અને 2 સ્ટુડન્ટ એક્ષચેન્જના વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. કુલ 550 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ યુનિ.માં અભ્યાસ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:24 am

તંત્ર હરકતમાં આવ્યું:રૂમલામાંથી 1 ટનથી વધુનો ખેરના લાકડાની છાલનો જથ્થો ઝડપાયો, પિતા-પુત્ર સહિત બેની અટકાયત

મહારાષ્ટ્રના દહાણુ વિસ્તારમાં ખેરના લાકડા ભરેલ ટ્રક ઝડપાયા બાદ વન વિભાગે ચીખલી તાલુકાના રૂમલા વિસ્તારમાંથી ખેરના લાકડાની છાલનો મોટો જથ્થો ઝડપી પાડી પિતા-પુત્ર સહિત બે શખ્સની અટકાયત કરી તપાસ હાથ ધરી હોવાની માહિતી સાંપડી હતી. ખેરના લાકડાનો જથ્થો ભરેલ ટ્રક ડાંગ બાદ નવસારી અને વલસાડ જિલ્લામાંથી બેરોકટોક પસાર થઇ દહાણુ નજીક મહારાષ્ટ્ર વન વિભાગે ઝડપી પાડ્યા બાદ ઉઘતા ઝડપાયેલ વન વિભાગ દ્વારા રૂમલા સહિત અલગ અલગ વિસ્તારમાંથી આઠેક જણાંની અટકાયત કરી હોવાનું પણ કહેવાય છે. જોકે ઘણાં દિવસો વીતવા છતાં વન વિભાગ દ્વારા તપાસ ચાલતી હોવાનું જણાવી કોઈ ચોક્કસ વિગત જાહેર કરવામાં આવી નથી.પુષ્પા રાજ ફેઈમ ઇમારતી લાકડાની તસ્કરીનું મોટું નેટવર્ક ચાલતું હોવાની આશંકા સેવાઇ રહી છે. થોડા દિવસ પૂર્વે ખેરના લાકડા ભરેલી એક ટ્રક મહારાષ્ટ્રના દહાણુ વિસ્તારમાં સ્થાનિક વન વિભાગ દ્વારા ઝડપી પાડતા તપાસમાં ચીખલી તાલુકાના રૂમલા વિસ્તારના પુષ્પાની સંડોવણી બહાર આવી હતી. જેને પગલે વન વિભાગે છાપો મારી આ વિસ્તારમાંથી ખેરના લાકડાની છાલનો એક ટનથી વધુનો જથ્થો ઝડપી પાડી પિતા-પુત્ર સહિત બે જેટલાની અટકાયત કરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ લાકડાનો જથ્થો ડાંગ જિલ્લાના મહાલ-બરડીપાડા વિસ્તારમાંથી લઈ આવી બેરોકટોક નવસારી અને વલસાડ જિલ્લાની બોર્ડર પસાર કરી મહારાષ્ટ્રમાં પહોંચી જતા સ્થાનિક વન વિભાગ ઊંઘતા ઝડપાયા હતા. આખરે હરકતમાં આવેલ ત્રણેય જિલ્લાના વન વિભાગના અધિકારીઓ તપાસ હાથ ધરી અત્યાર સુધીમાં આઠેક જણાંની અટકાયત કરાઈ હોવાનું કહેવાય છે. આ ત્રણ જિલ્લામાંથી વન વિભાગના ઘણાં તપાસ નાકાઓ આવ્યા હશે ત્યારે આખે-આખી લાકડા ભરેલ ટ્રક ન ઝડપાઇ અને મહારાષ્ટ્ર સુધી પહોંચી જાય ત્યારે સ્થાનિક અધિકારીઓની ભૂમિકા સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે. આ ખેરના લાકડાનો જથ્થો રૂમલા વિસ્તારના પુષ્પા દ્વારા લાવી આ જ વિસ્તારમાં છોલી મહારાષ્ટ્રમાં રવાના કરાયો હોવાની પણ શકયતા છે. સમગ્ર પ્રકરણમાં વન વિભાગની તપાસ બાદ જ હકીકત બહાર આવશે પરંતુ આ બનાવને ઘણા દિવસો વીતવા છતાં વન વિભાગ દ્વારા ચોક્કસ વિગત જાહેર ન કરી મગનું નામ મરી પાડવામાં આવતું નથી ત્યારે કેટલાક મોટા માથાને બચાવી લેવા કે પછી સ્થાનિક અધિકારીઓની ઇમારતી લાકડાની તસ્કરી રોકવામાં નિષ્ફળતા પર ઢાંકપીછોડો કરવા તપાસની વિગત જાહેર કરવામાં આવતી ન હોય તેમ લાગી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:20 am

ચેરમેનના ઝોન-3માં યોજાશે ચૂંટણી:ચીખલી વસુધારા ડેરીમાં 3 પૈકી 1 ફોર્મ રદ થતા વર્તમાન ચેરમેનના ઝોન-3માં ચૂંટણી

ચીખલીની વસુધારા ડેરીમાં વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં ઉમેદવારી પત્રક પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થતા 14 પૈકી માત્ર વર્તમાન ચેરમેનના ઝોન-3માં ચૂંટણી યોજાશે. વસુધારા ડેરીના નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના કાર્ય વિસ્તારમાં સમાવિષ્ટ વ્યવસ્થાપક સમિતિના કુલ 14 જેટલા ઝોન પૈકી 11માં એક-એક જ ઉમેદવારી પત્રક આવતા આ તમામ ઝોનના ઉમેદવારો ડિરેક્ટરપદે બિનહરીફ જાહેર થયા હતા. આ ઉપરાંત ચકાસણી દરમિયાન ઝોન-1 અને 14માં એક-એક મળી બે જેટલા ઉમેદવારોના ફોર્મ રદ થતા આ ઝોન-1 અને 14 એમ બીજા બે ઝોનમાં એક એક જ ઉમેદવાર રહેતા આ બે ઝોનો પણ બિનહરીફ થવા સાથે કુલ 14 પૈકી 13 ઝોનના ઉમેદવારો ડિરેક્ટરપદે બિનહરીફ થયા હતા. જો કે વર્તમાન ચેરમેન ગમનભાઇ પટેલે જે ઝોનમાંથી ઉમેદવારી કરી છે તે ઝોન-3માં તેમની સાથે કુલ ત્રણ ઉમેદવારી પત્રકો ભરાયા હતા.જે પૈકી એક ફોર્મ રદ થતા તેમની સાથે બે ઉમેદવારો મેદાનમાં રહ્યા છે ત્યારે બુધવારના રોજ ઉમેદવારી પત્રક ખેંચવાના અંતિમ દિવસે તેમના હરીફ ઉમેદવાર મહેન્દ્રભાઈ પટેલે ઉમેદવારી પરત ન ખેંચતા હવે માત્ર આ એક બેઠક માટે 28 નવેમ્બરના રોજ વસુધારા ડેરી કેમ્પસમાં 8થી 4 કલાક દરમિયાન મતદાન યોજાશે અને તેજ દિવસે 4:30 વાગ્યા બાદ મત ગણતરી કરવામાં આવશે. વસુધારા ડેરીના નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના કાર્ય વિસ્તારમાં 984 જેટલા મતદારો છે. ઝોન-3માં વર્તમાન ચેરમેનના હરીફ ઉમેદવારને સમજાવાના આગેવાનોના પ્રયત્નો નિષ્ફળ રહેતા ચૂંટણી ટળી શકી ન હતી અને માત્ર એક બેઠક માટે ચૂંટણી યોજાશે. ચીખલી વસુધારા ડેરીમાં માત્ર એક ઝોનમાં જ ચૂંટણી યોજાવાની હોવાથી આ બાબત ખૂબ ચર્ચામાં રહી છે. મહત્તમ ઉમેદવાર ડીરેક્ટર પદે અહીં બિનહરીફ થયા હતા.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:19 am

બાળક સિક્કો ગળી ગયો:રમતાં-રમતાં 5 વર્ષના બાળકે સિક્કો ગળી જતા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો

અકોટા વિસ્તારમાં આવેલી અકોટા ટાઉનશિપમાં રહેતા હુસેનભાઈ શેખના પાંચ વર્ષીય દીકરા હસને ઘરે આવેલા મહેમાનોના બાળકો સાથે રમતાં-રમતાં એક રૂપિયાનો સિક્કો મોઢામાં મૂકી દીધો હતો અને બોલવા જતાં એ સિક્કો અન્નનળીમાંથી સીધો પેટમાં ઉતરી ગયો હતો. જેથી પરિવાર દીકરાને લઈને સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં દોડી ગયા હતા. હસનનું પ્રાથમિક નિદાન કરીને તેને તાત્કાલિક આંખ-કાન -ગળાના વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં એક્સ-રે કરાવવામાં આવ્યા હતા. એક્સ-રેમાં સિક્કો અન્નનળી, શ્વાસનળી કે છાતીમાં ફસાયેલો ન જણાતાં ડોક્ટરોએ પુષ્ટિ કરી કે સિક્કો પેટમાં ઊતરી ગયો છે. જે બાદ તબીબ અને પરિવારે હાથકારો અનુભવ્યો હતો. ડોક્ટરોએ જણાવ્યું હતું કે, સિક્કો પેટમાં ઉતરી ગયો હોવાને કારણે કુદરતી રીતે મળ-મૂત્ર દ્વારા બહાર નીકળી જશે, તે માટે ચિંતા કરવાની જરૂર નથી.” આ સલાહ બાદ હસનના પિતા હુસેનભાઈએ હોસ્પિટલમાંથી પોતાની જવાબદારીએ રજા લઈ લીધી અને ઘરે પરત ફર્યા હતા. ઘરે આવ્યા બાદ પરિવારે પોતાના ફેમિલી ડોક્ટરને પણ આ બાબતે જાણ કરી હતી. ફેમિલી ડોક્ટરે પણ સયાજી હોસ્પિટલના ડોક્ટરોની સલાહને સંપૂર્ણપણે સમર્થન આપતાં જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, સિક્કો આગામી થોડા દિવસોમાં કુદરતી રીતે જ મળ-મૂત્ર દ્વારા હસનેના પેટ માંથી બહાર આવી જશે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:18 am

કંપની સામે વાંધા અરજી અપાઈ:નવસારીના રજવાડા ગામે ખાનગી કંપની સામે ગ્રામજનોને વાંધો

નવસારી તાલુકાના રજવાડા ગામે વારી સસ્ટેનેબલ ફાઇનાન્સ પ્રા. લિ. દ્વારા બ્લોક નં. 271, 273 અને 274માં કરવામાં આવતાં બાંધકામ અને પાણી વપરાશને લઈને ગ્રામજનોએ ઉગ્ર વાંધા સાથે જિલ્લા તંત્રને અરજી કરી છે. નવસારી તાલુકાના રજવાડા અને આજુબાજુના ગામોના લોકોએ કલેકટરને ઉદ્દેશીને આવેદન આપ્યું હતું. જેમાં જણાવ્યું કે ગામમાં વારી કંપનીની પ્રવૃત્તિઓથી ખેતી, પશુધન અને રોજિંદા પાણીની ઉપલબ્ધિ ઉપર ગંભીર અસર થઈ રહી છે. કંપની ટ્યુબવેલ તેમજ બોરવેલમાંથી મોટા પ્રમાણમાં પાણી ખેંચી રહી છે, જેના કારણે આજુબાજુની ખેતી માટે પાણીની અછત ઊભી થઈ રહી છે. કંપનીની ભારે મશીનરીથી થતી કંપની નજીક આવેલા જૂના બોરવેલને નુકસાન પહોંચાડી શકે છે, જેના કારણે ખેતી તેમજ રોજિંદા પીવાના પાણીની સ્થિતિ ગંભીર બની શકે છે. વધુમાં કંપનીએ બાંધકામ પહેલાં કોઈ યોગ્ય સર્વે, પર્યાવરણ અસર મૂલ્યાંકન કે ગ્રામજનોની મંજૂરી લેવામાં આવી નથી, જેના કારણે સમગ્ર ગામમાં નારાજગી વધતી જાય છે. કંપનીના પાણી વપરાશ, બાંધકામ અને મશીનરીના ઉપયોગ પર તાત્કાલિક નિયંત્રણ લાવવામાં આવે અને જો યોગ્ય પગલાં નહીં લેવાય તો કાયદેસર માર્ગથી આગળ લડત આપવામાં આવશે તેવી ચેતવણી ગ્રામજનો દ્વારા વહીવટી તંત્રને આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:18 am

ફરિયાદ:સમા કેનેરા બેંકમાં હોમ લોનની બોગસ એનઓસી રજૂ કરતા માતા-પુત્ર સામે ગુનો

સમા કેનેરા બેંકમાં બીઓબીની હોમ લોનની બોગસ એનઓસી રજૂ કરતા માતા-પુત્ર સામે સમા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. ગીરીરાજ ડેવલોપર્સના લોન કૌભાંડમાં સંડોવાયેલા કેવીન કરકર સહિત તેની માતા સામે ગુનો નોંધાયો હતો. છાણી જકાતનાકા ખાતે રહેતા અમિતકુમાર રામઈકવાલ રાય રણોલી બેંક ઓફ બરોડા બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. બેંકના એકાઉન્ટ ધારક કેવીન કરકર તથા તેમના માતા બકુલાબેન કિશોરભાઈ કરકરે તરસાલી ખાતે પલાસ હાઇટના બે ફ્લેટ લેવા માટે બે ખાતામાં કુલ રૂ.49.50 લાખની હોમ લોન મેળવી હતી. તેમને બેંકમાં કેટલાક હપ્તા ભર્યા હતા. જોકે ત્યારબાદ સમાની કેનેરા બેંક શાખા તરફથી રણોલી બીઓબી રણોલીને ઈ-મેલ મોકલામાં આવ્યો હતો. જેમાં કહેવાયું હતું કે, કેવીન તથા બકુલાબેને રણોલી બીઓબીમાંથી લીધેલી બે હોમલોનની કેનેરા બેંકમાં એનઓસી મોકલી છે. તે એનઓસી બીઓબીના લેટરપેડ પર લખાયેલી હતી અને લોનની ભરપાઈ કરી લોન ક્લોઝ કરાવી છે. તેમ સિનિયર બ્રાંચ મેનેજરની સહી સાથે જણાવાયું હતું. એનઓસી પર બેંકનો સિક્કો પણ મારવામાં આવ્યો હતો. ત્યારે કેનેરા બેંક તરફથી એનઓસી વેરિફાય કરાવવા માટે આવી હતી. ત્યારે બેંક તરફી એનઓસી વેરિફાય કરાતા બંને હોમલોનના ખાતા આઉટસ્ટેન્ડિંગ(બાકી) બતાવતા હતા. જ્યારે બેંકનો સિક્કો, સહી તથા એનઓસી ખોટી બનાવવામાં આવી હતી. ત્યારે સમા પોલીસે માતા-પુત્ર સામે છેતરપિંડીનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. ગીરીરાજ ડેલવોપર્સના ત્રણ બિલ્ડર સહિત મળતીયાએ રણોલી બીઓબીમાંથી ગેરરિતી કરીને રૂ.3.47 કરોડની લોન મેળવી હતી. કેવિન કરકરનું નામ સામેલ હતું.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:17 am

છેતરપિંડી:ક્રેડિટ કાર્ડ ઓનલાઇન એક્ટિવ કરવાના બહાને આધેડના 6.59 લાખ ઉપાડી લઈને છેતરપિંડી

ખાનગી કંપનીમાં નોકરી કરતા આધેડ પાસે ક્રેડિડ કાર્ડ એક્ટિવ કરવાના બહાને ઠગોએ કાર્ડમાંથી 6.59 લાખની છેતરપિંડી કરી હતી. આ અંગેની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે એકાઉન્ટ નંબરના આધારે ભેજાબાજોની શોધખોળ શરૂ કરી છે. આજવારોડ ઉપર રહેતા મિતેશ કનૈયાલાલ શાહ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમનું એક્સિસ બેંકમાં ખાતું છે. તે ક્રેડિટ કાર્ડ પણ ધરાવે છે. બેંક તરફથી આપવામાં આવેલું ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરાવ્યું ન હતું. ગત 24 મે ના દિવસે મિતેશભાઈના મોબાઇલ ઉપર અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે જણાવ્યું હતું કે, તમે એક્સિસ બેંકનું ક્રેડિટ કાર્ડ એક્ટિવ નહીં કરાવો તો તમારું કાર્ડ બંધ થઈ જશે. ભેજાબાજે બેંકની એપ ઉપરથી ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરવાનું કહેતા મિતેશભાઈએ બેન્કની એપ ખોલી ગઠિયાની સૂચના પ્રમાણે ફોનમાં નંબર નાખ્યા હતા. થોડા સમય બાદ ફરીથી કાર્ડ એક્ટિવનો મેસેજ આવ્યો હતો અને એમના ખાતામાંથી ધડાધડ 3 લાખ, 2 લાખ અને 1 લાખ રૂપિયા મળી કુલ 6.59 લાખના ટ્રાન્ઝેક્શન થયા હતા. જે જોઈ મિતેશભાઈ ગભરાયા હતા. પરિણામે તરત સાયબર હેલ્પ લાઇન ઉપર ફોન કરી કાર્ડ બ્લોક કરાવ્યું હતું. આ રકમ જુદા જુદા બે બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થઈ હતી. જે રકમ પરત આવશે એમ ફરિયાદીને લાગતું હતું. મિતેશભાઈએ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. ભેજાબાજે બેંકની મોબાઈલ એપથી ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરાવડાવ્યું હતું સાયબર એક્સપર્ટ આશિષ પટેલે જણાવ્યું છે, કે ક્રેડિટ કાર્ડ અંગેની માહિતી ગુપ્ત રાખવી જોઈએ

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:16 am

ચૈતર વસાવાનો હુંકાર:સામાન્ય માણસના પ્રશ્નોને વાચા આપવા આપ કટિબદ્ધ છે : ચૈતર વસાવા

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા ગુજરાત જોડો અભિયાનના ભાગરૂપે ચીખલી તાલુકાના દેગામ ગામે જનસભાનું આયોજન કરાયું હતું. આ જનસભામાં ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, નવસારી જિલ્લા પ્રમુખ પંકજભાઇ પટેલ દેગામ, મહામંત્રી પંકજભાઇ પટેલ સાદડવેલ સહિતના પક્ષના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા અને રાજ્યની વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઇ વસાવા એ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી સામાન્ય માણસના પ્રશ્નોને વાચા આપવા માટે કટિબદ્ધ છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રાખશે. આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને નેતાઓએ યુવાનોને રાજકારણમાં સક્રિય થવા અને આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પરિવર્તન લાવવા માટે યુવાનોએ આગળ આવવું પડશે અને ‘આપ' એક એવી પાર્ટી છે જે યુવાનોને તક અને મંચ પૂરો પાડે છે. વધુમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ અને અન્ય મંત્રીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. વસાવાએ સ્પષ્ટતા કરી હતી કે અમે આદિવાસી સમાજને ગુમરાહ કરતા નથી. વસાવાએ દાવો કર્યો હતો કે ડેડીયાપાડામાં પ્રધાનમંત્રી આવ્યા ત્યારે 500 કરોડ રૂપિયા આદિજાતિ વિભાગની ગ્રાન્ટ વાપરી ગ્રાન્ટનો ઉપયોગ માત્ર રાજકીય કાર્યક્રમો માટે કરાતો હોવાનો આક્ષેપ કરાયો હતો. ગુજરાતમાં આપની દિલ્હી વાળી થશે : સાંસદ ધવલ પટેલ વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે ચીખલીમાં આવેલા ચૈતર વસાવા પર અને આમ આદમી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ચૈતર વસાવાને જવાબ આપતા કહ્યું હતું કે હું 2.10 લાખની લીડથી જીત્યો છું અને તમે 80 હજાર મતથી હારેલા છો. તેમણે ચૈતર વસાવાને ટુકડે ટુકડે ગેંગ ગણાવતા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. ગુજરાતમાં પણ આપની હાલત દિલ્હી વાળી થશે. એવો દાવો પણ તેમણે કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:15 am

પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું:રાણીફળિયામાં ભાડાના મકાનમાંથી મૃત દીપડાનું ચામડુ મળી આવ્યું હતું

વાંસદા તાલુકાના રાણીફળિયા ગામે વન વિભાગ અને વડોદરા જીએસપીસીએસએ બાતમીના આધારે રાણીફળિયાથી દીપડાના ચામડા સાથે 5 ઇસમોની અટક કરી હતી. તેમને કોર્ટમાં રજૂ કરતા ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા જેલના સળિયા પાછળ ધકેલાયા હતા. વાંસદા વન વિભાગના કર્મચારી અને વડોદરા જીએસપીસીએસને બાતમીને પગલે 13 નવેમ્બરના રોજ વાંસદાના રાણીફળિયામાં ભાડેના મકાનમાં રહેતા રાજેશભાઇ પણીકરનાં ઘરે રેડ કરતા ઘરમાંથી મૃત દીપડાનું ચામડું શિડ્યુલ-1 મળી આવ્યું હતું. ભાડાના ઘરમાં રહેતા રાજેશભાઇ પણીકર તથા દીપડા ચામડું લાવનાર જયેશભાઇ ગાંવિત (રહે. શિવારીમાળ, જિ.ડાંગ), વેચાણ અર્થે લેવા આવનાર કિરીટભાઇ ચૌહાણ (રહે.વડોદરા), ગિરીશભાઈ પરમાર (રહે.વડોદરા) અને સોમાભાઈ વજીર (રહે.શિવારીમાળ, જિ.ડાંગ)ને રંગેહાથ પકડવામાં આવ્યા હતા. તેમને વાંસદા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂરા થતા વન વિભાગે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. આ બનાવની વલસાડ ઉત્તરનાં નાયબ વન સંરક્ષક વલસાડ ઉત્તરનાં ડો.બી.સુચિન્દ્ર અને ડી.સી.એફ.લોકેશ ભારદ્વાજ, એ.સી.એફ. જ્યોતિ જોશીના માર્ગદર્શન હેઠળ વાંસદા પૂર્વ અને પશ્ચિમ વન વિભાગના આરએફઓએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:14 am

2 વર્ષથી બંધ પ્લેનેટેરિયમનું મશીન રિપેર ન કર્યું:હવે વિજ્ઞાન ખોજ મ્યુઝિયમ બનશે

કમાટીબાગના 50 વર્ષ જૂના સરદાર વલ્લભભાઈ પટેલ પ્લેનેટેરિયમમાં 2 વર્ષથી સ્પેસ માસ્ટર પ્રોજેક્ટર મશીન બંધ છે. જેનું સમારકામ બાજુ પર મૂકી હવે પ્લેનેટેરીયમમાં જ ખોજ મ્યુઝિયમ બનાવશે. ખગોળશાસ્ત્રનું લાઈવ મોડ્યુલ મૂકવામાં આવશે. ગુજરાત સરકારની સીએસઆર ઓથોરિટી દ્વારા અમદાવાદ, સુરત બાદ હવે વિજ્ઞાનલક્ષી ખોજ મ્યુઝીયમ બનાવવાનું આયોજન કરાયું છે. બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા વધારવું તે મ્યુઝિયમ બનાવવાનો ઉદ્દેશ છે. ગુજરાત સીએસઆર ઓથોરિટીના પ્રતિનિધિઓએ મ્યુનિસિપલ કમિશનરની રૂબરૂ મુલાકાત લીધા બાદ પ્લેનેટેરિયમની મુલાકાત લીધી હતી. પ્લેનેટેરીયમ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ખોજ મ્યુઝીયમ બનાવવાનું પ્રપોઝલ આપવામાં આવ્યું છે. ખોજ મ્યુઝિયમની મૂળ થીમ ખગોળશાસ્ત્ર પર આધારિત રહેશે. આપણું પ્રોજેક્ટ માટે સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી મળી છે. અને પાલિકા દ્વારા ગુજરાત સીએસઆર ઓથોરિટી સાથે એમઓયુ કરવામાં આવશે. 17 વર્ષ પહેલાં લવાયેલું ~6 લાખનું ટેલિસ્કોપ 2 વખત ખોલી મૂકી દેવાયું,ત્રીજી વખત ખોલ્યું તો બગડી ગયું હતુંપ્લેનેટેરિયમમાં 2007-08માં 6 લાખનું ટેલિસ્કોપ લવાયું હતું. 6 વર્ષ મુકી રાખી બાદમાં એક ચકાસી ફરીથી મૂકી દેવાયું હતું. 2017-18માં ખોલતાં બગડેલું જણાયું હતું. તેને જોવા મ્યુનિ.કમિશનર પરિવાર સાથે ગયા હતા.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:14 am

‘ભૂલથી રકમ જમા થઈ ગઈ છે' કહી ટ્રાન્જેકશન કરાવ્યું:સાદકપોરની મહિલા સાથે‎રૂ.67 હજારની છેતરપિંડી‎

ચીખલી તાલુકાના સાદકપોર સંજય ફાર્મમાં રહેતા ફરિયાદી હંસાબેન સુરેશભાઈ પટેલ (ઉ.વ.45)ના પતિ વિદેશમાં રહેતા હોય ત્યારે ગત તા.4-નવેમ્બર-25ના રોજ હંસાબેનને એક અજાણ્યા નંબર પરથી ફોન કરી જણાવ્યુ હતુ કે હું અનિલભાઈ બોલું છું તમારા પતિ સુરેશભાઈને મારે રૂ. 10 હજાર આપવાના છે પરંતુ મારા ગૂગલ-પે થી સુરેશભાઇને પૈસા ટ્રાન્સફર થઈ રહ્યાં નથી. જેથી સુરેશભાઈએ તમારા નંબર પર ગુગલ-પે કરવા જણાવ્યું છે પરંતુ મારાથી ઉતાવળમાં અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી તમારા ખાતામાં વધુ રકમ જમા થઈ ગઈ છે. આ રકમના ટેક્સ મેસેજ પણ તમારા મોબાઇલમાં આવ્યા હશે, ત્યારબાદ હંસાબેને મોબાઇલ ફોનમાં જોતા અજાણ્યા નંબર પરથી અલગ અલગ ટ્રાન્ઝેક્શનના ટેક્સ મેસેજ આવતા બાદ માં અનિલભાઇના વારંવારના ફોનથી હંસાબેન પટેલે રૂ. 27 હજાર તેમજ બાદમાં રૂ. 40 હજાર મળી કુલ રૂ. 67 હજાર ટ્રાન્સફર કરી દઈ બાદમાં હંસાબેને પોતાના બેંક એકાઉન્ટમાં બેલેન્સ ચેક કરતા ત્યારે તેમાં કોઈ રૂપિયા જમા થયા ન હતા અને તેમને પોતાની સાથે ઓનલાઈન વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. બનાવ અંગે તેમની ફરિયાદમાં પોલીસે બે મોબાઈલ નંબરના વપરાશકર્તાઓ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી પીઆઇ ડી.એસ.કોરાટે તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:12 am

‘કુદરતી ખેતી માટીનું સંવર્ધન'' વિષય પર કિસાન સંગોષ્ઠી‎:ડાંગના 65થી વધુ ખેડૂતોને પ્રા. ખેત પેદાશોની બજાર વ્યવસ્થાની તાલીમ

નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. હેમંત શર્મા અને વઘઇ કે.વિ.કે.ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. જે.બી. ડોબરીયાના માર્ગદર્શન હેઠળ વઘઇ કે.વિ.કે.માં પીએમ પ્રણામ યોજના અંતર્ગત ચીખલી એનકેએસકે અને જીએનએફસીલી દ્વારા કુદરતી ખેતી દ્વારા માટીનું સંવર્ધન’ અંગે કિસાન સંગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ તાલીમ અંતર્ગત વઘઇ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ફરજ બજાવતા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. જે.બી. ડોબરીયાએ પ્રાકૃતિક ખેત પેદાશોની બજાર વ્યવસ્થા તથા કે.વિ.કે.ના કાર્યો, પાક ઉત્પાદન ડો. પ્રતીક જાવીયાએ સેંદ્રિય કાર્બન અને જમીન આરોગ્ય તેમજ સુરત જીએનએફસીના એરિયા મેનેજર બી. સી.નાયક એ પીએમ પ્રણામ યોજનાની વિસ્તૃત માહિતી અંગે વ્યાખ્યાયન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ખેતીવાડી અધિકારી કે.વી. પટેલે જીવામૃત બનાવાની તથા જમીનનો નમૂનો લેવાની પદ્ધતિનું મેથડ ડેમોસ્ટ્રેશન આપ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, રાજેન્દ્રપુર ફાર્મના વિવિધ ડેમોસ્ટ્રેશન યુનિટ તથા પ્રદર્શનની મુલાકાત કરાવી હતી. કાર્યક્રમનું સંચાલન એસ. જે. વેકરીયા, જિલ્લા ઇન્ચાર્જ, નવસારી, વલસાડ અને ડાંગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 65થી વધુ ખેડૂતોએ હાજરી નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:11 am

માંડવીની કુવતે ઇસ્લામ મસ્જિદની રજૂઆત કરીને તંત્ર થાક્યું:મસ્જિદમાં ગટરના પાણી, ઘરેથી વઝુ કરી આવવા બોર્ડ મૂકવું પડ્યું

માંડવી મેમણ જમાતખાના પાસેની મસ્જિદમાં ગટરના પાણી આવતા નમાઝીઓને ગંદા પાણીમાં વઝુ કરવું પડે છે. રજૂઆત કરી થાકેલા સંચાલકોએ નમાઝીઓને ઘરેથી વઝુ કરી આવવા બોર્ડ મૂક્યું છે. મેમણ જમાતખાના પાસે આવેલી કુવતે ઇસ્લામ મસ્જિદમાં ડ્રેનેજના પાણી ધસી આવ્યા છે. જેના કારણે પાણી ગંદુ થયું છે. નમાઝ પડવા આવતા લોકોને ગંદા પાણીથી વઝુ કરવું પડે છે. સ્થાનિક અગ્રણી ફારુક સોનીએ આ અંગે ઓનલાઇન પોર્ટલ તેમજ પાલિકા અને વોર્ડમાં રજૂઆત કરી છે પરંતુ તેનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. છેલ્લા ઘણા દિવસોથી સર્જાયેલી આ સમસ્યાના પગલે મસ્જિદના સંચાલકોએ બોર્ડ લગાવવું પડ્યું છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે નમાજ પડવા આવતા લોકોએ ઘરેથી જ વઝુ કરીને આવવું.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:11 am

આધુનિક યોગ કેન્દ્ર:તરસાલી-સોમા તળાવ રોડ પર શહેરનું પ્રથમ આધુનિક યોગ કેન્દ્ર બનશે, એક સાથે 100 સાધકો યોગ કરી શકશે, યોગ શિક્ષકો રોજ નાગરિકોને યોગની તાલીમ આપશે

શહેરમાં પ્રથમવાર પાલિકા દ્વારા 1.75 કરોડના ખર્ચે આધુનિક યોગ કેન્દ્ર બનાવાશે. જેમાં અનુભવી યોગ શિક્ષકોનું માર્ગદર્શન પણ અપાશે. 2026માં યોગ કેન્દ્ર તૈયાર થશે, જેમાં 100 લોકો એકસાથે યોગ કરી શકશે. પાલિકાના દંડક શૈલેષ પાટીલે જણાવ્યું કે, તરસાલી-સોમા તળાવ રોડ પર 16 હજાર ચોરસ ફૂટમાં કેન્દ્ર બનશે, જેમાં આયુર્વેદિક બગીચો પણ હશે. હોલની બાજુમાં બગીચાનું પણ નિર્માણ થશે. યોગ કેન્દ્રનો લાભ વિસ્તારના 50 હજાર નાગરિકોને મળશે. યોજનાનો હેતુ લોકોમાં સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. નાગરિકોને આ કેન્દ્રથી સ્વસ્થ અને સમતોલ જીવન પ્રાપ્ત થશે. 2026માં યોગ કેન્દ્ર તૈયાર થશેયોગ કેન્દ્રની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે. જે થોડા જ સમયમાં પૂર્ણ થશે. 2026માં વિસ્તારના નાગરીકો માટે આધુનિક યોગ કેન્દ્ર તૈયાર થઇ જશે. > પ્રમોદ વસાવા, એક્ઝિક્યુટીવ એન્જીનિયર, પાલીકા

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:10 am

ટ્રાફિક જામ:તરસાલી સહિત 5 પ્રવેશદ્વાર પર કાંસ નખાશે,7 દિવસ રસ્તો બંધ

પાલીકાની ડ્રેનેજ શાખા દ્વારા નવી વરસાદી ગટર નાખવાની કામગીરી હાથ ધરાઈ છે. ગોલ્ડન, આજવા, કપુરાઈ, વાઘોડિયા અને તરસાલી જંકશન પર નવી ગટર નાખવાનું શરૂ કરાતાં જંકશનોથી રૂટ ડાયવર્ટ કરાયા હતા. તરસાલી જંકશન પર 19મીથી 7 દિવસ રસ્તો બંધ રહેશે. પ્રથમ તરસાલી-ધનયાવી રૂટ બંધ કરાયો હતો. બીજો રૂટ ચાલુ હતો. જ્યાં બુધવારે ટ્રાફિક જામ થયો હતો. 30 કરોડના ખર્ચે શહેરમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરવા પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેમાં હાઇવે નીચેથી ચેનલ મારફતે પાણીનો શહેર બહાર નીકાલ કરવાનું આયોજન છે. જેથી પાણી ભરાવવાની સમસ્યા ન થાય.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:09 am

આગની ઘટના:લગ્નમાં ફૂટેલો ફટાકડો રેસ્ટોરન્ટમાં પડ્યો, આગમાં પ્લાસ્ટિક-લાકડાનો સામાન ખાખ

ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગરમાં મંગળવારે રાત્રે એક રેસ્ટોન્ટમાં આગ ભભૂકી ઊઠી હતી. લગ્ન પ્રસંગે ફૂટતા ફટાકડા પૈકીનો એક રેસ્ટોન્ટમાં પડ્યા બાદ આગ લાગી હતી અને રેસ્ટોરન્ટના પ્લાસ્ટિકની ખુરશીઓ સહિતના સામાનથી વધુ ફેલાઇ હતી. ગોરવા મધુનગર બ્રિજ નીચે તાજ ગાર્ડન રેસ્ટોરન્ટ છે. જેમાં ઘાસ અને વાંસનો ઉપયોગ કરીને ત્રણેક મઢૂલીઓ બહારના ભાગે તૈયાર કરવામાં આવી છે. રાત્રે આ રેસ્ટોરન્ટની પાસે જ બે લગ્નો હતા. આ નિમિત્તે ફટાકડાં ફોડવામાં આવી રહ્યાં હતા. દરમિયાન એક ફટાકડો ગાર્ડન રેસ્ટોન્ટની મઢૂલી ઉપર પડતા તેનું ઘાસ અને અન્ય જ્વલનશીલ પદાર્થ આગની લપેટમાં આવી ગયા હતા. આગ લાગતાં જ લોકોમાં અફસારતફરી મચી ગઇ હતી. ફાયરબ્રિગેડના લાશ્કરોએ પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્તેજના વ્યાપી હતી અને લોકટોળાં ભેગા થઇ ગયા હતા. રેસ્ટોરન્ટ માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવીઆગનો આ મામલો ગોરવા પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રેસ્ટોરન્ટ માલિકે પોલીસ મથકે આગના બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી. જેની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આગને કારણે રેસ્ટોરન્ટ માલિકને મોટું નુકસાન થયું હોવાથી તેણે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. હોટેલમાં લોકોએ રાખવા જેવી સાવચેતી

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:07 am

‘સાયબર સિક્યુરિટી'' પર સેમિનાર:વિદ્યાર્થીઓને શેર માર્કેટ, જોબ અને ફેક‎ડિલિવરી ફ્રોડ વિશે અપાઇ ચેતવણી‎

બીલીમોરા શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલયમાં આઇક્યુએસી કમિટી દ્વારા સાયબર સિક્યુરિટી’ વિષય પર જાગૃતિ સેમિનાર યોજાયો હતો. ​કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નવસારી પીએસઆઇ એમ.એમ. શેખ, પો.કો. જયદીપસિંહ જાડેજા અને સાયબર નિષ્ણાતો વિરલ પટેલ તથા ધ્રુવ નાયક ઉપસ્થિત રહ્યાં હતા. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશભાઈ ટંડેલે મહેમાનોનો પરિચય આપ્યો હતો. નવસારી જિલ્લામાં દરરોજ નોંધાતા સાયબર કેસોની સંખ્યા અને આર્થિક નુકસાનની વિગતો આપી હતી. સાયબર ક્રાઇમ, સાયબર સિક્યુરિટીનું મહત્વ, એપીકે, એમ-કવચ અને ક્લોન એપ્લીકેશન વિશે માહિતી આપી હતી. તેમણે શેર માર્કેટ/ક્રિપ્ટો ફ્રોડ, સોશિયલ મીડિયા ફ્રોડ, જોબ/વિઝા ફ્રોડ, ઈલેક્ટ્રીસિટી બિલ ફ્રોડ અને ફેક ડિલિવરી ફ્રોડ જેવા અનેક પ્રકારના સાયબર ફ્રોડ વિશે ચેતવણી આપી હતી. સાયબર ફરિયાદ માટે ત્વરિત કોલ- 1930 અથવા CYBERCRIM .GOV.INનો સંપર્ક કરવા જણાવ્યું હતું. વિરલભાઈએ સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો જેવા કે કોલ એસએમએસથી સાવધાન રહેવું, સંચાર સથી 5 નો ઉપયોગ કરવો અને ઇન્સ્ટાગ્રામ/વોટ્સએપ પર ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) સેટ કરવા પર ભાર મૂક્યો હતો.​ આ કાર્યક્રમનું સમગ્ર આયોજન કો.ઓર્ડિનેટર પ્રો. ડો. અરુણાબેન કસવાલાએ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:06 am

અમલ:શહેરના માર્ગો-જાહેર સ્થળે યોગ્ય પાર્કિંગ ન કર્યું તો હવે પાલિકા ઈ-મેમો મોકલાવશે

2022માં પાલિકાએ પાર્કિંગ પોલિસી બનાવી સરકારમાં મંજૂરી માટે મોકલી હતી. બે વર્ષ સુધી મંજૂરી ન મળતાં હવે તે પૂર્વે જ હંગામી પોલિસી લાગુ કરવામાં આવશે. જે મુજબ રોડ સહિત વિવિધ સ્થળે ટ્રાફિકની દેખરેખ પાલિકાનું સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કરશે અને ઈ-મેમો પણ જનરેટ કરશે. શહેરમાં રોડ પર થતા પાર્કિંગને કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે. જેનો ઉકેલ લાવવા પાલિકાએ પાર્કિંગ પોલિસીનો અમલ કરવાનું નક્કી કર્યું છે. વર્ષ 2022માં પાર્કિંગ પોલિસીને રાજ્ય સરકારમાં મંજૂરી માટે મોકલાવવામાં આવી હતી. જોકે તે હજુ મંજૂર કરાઈ નથી. ત્યારે શહેરમાં વકરતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા પાલિકાએ હંગામી પોલિસીને લાગુ કરાશે. પોલિસીનું ઝોન કક્ષાએથી અમલીકરણ કરાવવા 10 અધિકારીઓની કમિટીનું ગઠન કરાશે. સ્થાયી સમિતિમાં આ દરખાસ્ત મંજૂરી માટે મુકાઈ છે. પાલિકાના સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી સમગ્ર પાર્કિંગ વ્યવસ્થાના અમલીકરણની દેખરેખ કરાશે અને જો નિયમો ભંગ થશે તો ઈ મેમો મોકલવામાં આવશે. જાહેર રસ્તા પર પડી રહેલા વાહનો દૂર કરવાની કામગીરી ટ્રાફિક પોલીસને સોંપવામાં આવી છે. પાલિકા ટોઇંગ વાહનોની ખરીદી કરી કોન્ટ્રાક્ટ આપશેવાહનોના પાર્કિંગ માટે સુવ્યવસ્થિત આયોજન ન હોવાથી લોકોને પાર્કિંગની જગ્યા મળતી નથી અને તેના કારણે રોડ પર અથવા તો ખુલી જગ્યામાં પાર્કિંગ કરવા મજબૂર બને છે. રોડ અને નો પાર્કિંગ ઝોન વિસ્તારમાં પાર્કિંગ કરવા બદલ ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોને ટો કરવામાં આવશે. પાલિકા દ્વારા પણ ટોઇંગ વાહનોની ખરીદી કરાશે અને વ્યવસ્થા કોન્ટ્રાક્ટ પર સોંપવામાં આવશે. પાલિકાના 100 પ્લોટ પર પે એન્ડ પાર્કની વ્યવસ્થા ઊભી કરાશે પ્લોટ અને બ્રિજ નીચે પે એન્ડ પાર્કિંગનું ફી ધોરણ કોમર્શિયલ કોમ્પ્લેક્સને આડેધડ પરવાનગીઓ અપાઇ, પાર્કિંગમાં બાંધકામ થયા અને ચાર્જ લોકોએ ભરવાનો વારો ચાર દરવાજા, સુરસાગર, રાવપુરા, અલકાપુરી રોડ, સયાજીગંજ, ફતેગંજ, નિઝામપુરા, સમા, કારેલીબાગ સહિત વિસ્તારમાં પાલિકાએ ચકાસણી વિના આડેધડ બાંધકામની પરવાનગી આપી છે. પાર્કિંગની જગ્યામાં બાંધકામો છે. હોસ્પિટલો, મોલ, રેસ્ટોરન્ટ, હોટલમાં પણ પાર્કિંગની પુુરતી વ્યવસ્થા ન હોવાથી લોકો બહાર પાર્કિંગ કરે છે. નિયમોના અમલીકરણ કરાવવામાં અસમર્થ અને ભૂલ ભરેલા નિર્ણયો લેતી પાલિકાને કારણે હવે રોડ પર પાર્ક કરતા લોકોને દંડ ચૂકવવો પડશે. પોલિસીમાં ઉલ્લેખ છે કે, કોમ્પ્લેક્ષ, શોપ, મોલ, હોટલ, રેસ્ટોરન્ટમાં પાર્કિંગ નહીં હોય તો ટીપી વિભાગના બિલ્ડીંગની પરવાનગી આપતા અધિકારી કાર્યવાહી કરશે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:06 am

લાલચમાં પૈસા ગુમાવ્યા:નવસારીમાં એન્જિનિયરે ડિજિટલ માર્કેટિંગની લાલચમાં રૂ.1.54 લાખ ગુમાવ્યા

ઇજનેર અને ઓલપાડમાં પ્રોડક્શન મેનેજર વિવેક ડોબરિયા જલાલપોરમાં પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું કે તેમના મોબાઈલ ઉપર સો.મીડિયામાં ગ્લોરી ડિજિટલ માર્કેટિંગ નામની એપ્લિકેશન આવી હતી. જેમાં એપ્લિકેશનમાં વસ્તુ શેર કરી લાઈક કરશે તેને એક ટાસ્કના રૂ.180 મળશે તે જાણતા યુવકે ચાર જેટલા ટાસ્ક પૂરા કર્યા હતા. ટાસ્ક પુરા કર્યા બાદ તેના ખાતામાં નાણાં આવ્યા હતા, ત્યારબાદ જે તે કંપનીએ મોકલેલ ક્યુઆર કોડમાં તેમના કહેવાથી સ્કેન કરી અલગ અલગ ખાતાઓમાં કુલ રૂ. 1.54 લાખ ભર્યા હતા. કંપનીના કહેવા મુજબ કોઈ વસ્તુ કે નાણાં ન આવતા તેની સાથે સાયબર ક્રાઇમ થયો હોવાની જાણ થતા વિવેકે 1930 ઉપર ફરિયાદ કરતા તેમનું ખાતું રૂ. 32248 સાથે ફ્રીઝ થયું હતું. પોલીસે ફરિયાદ ને આધારે આગળની તપાસ હાથ ધરી છે. ભાસ્કર નોલેજ

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:03 am

મતદાર યાદી:SIRની યુવા ટીમ તૈયાર,નોકરિયાતોની યાદી માટે તંત્ર 200 સોસાયટીમાં જશે

જિલ્લા ચૂંટણી તંત્રે 2002ની મતદાર યાદીમાં નામ શોધવા વધુ વિકલ્પ અપાયા છે. 140 સોસાયટીમાં સાંજે 4થી 7 વાગ્યે નોકરિયાત વર્ગ માટે ખાસ કેમ્પ યોજાશે. ચૂંટણી અધિકારીએ યુનિ.ઓના વીસી સાથે બેઠક યોજી હતી. યુથ વોલન્ટિયર્સને જોડવામાં આવશે. જિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ જણાવ્યું કે, ચાર દિવસ મેપિંગ અને મેચિંગના પ્રશ્નોને ધ્યાને રાખી શહેરી વિસ્તારોમાં ખાસ વ્યવસ્થા કરાઇ છે. નામ, બૂથ, સોસાયટી અને વિસ્તાર સરળતાથી શોધાય તે માટે સર્ચ ઓપ્શન સાથેની પીડીએફ અને ક્યુઆર કોડ્સ ઉપલબ્ધ કરાવાશે. 20-21 તારીખે 200 સોસાયટીઓમાં સાંજે કેમ્પ યોજાશે. નોકરીયાતો અને વેપારીઓ ઘરે આવે ત્યારે મેપિંગ, મેચિંગ તથા કલેક્શન પ્રક્રિયામાં સરળતા રહે તે માટે બીએલઓ સાથે વોલન્ટિયર્સ, શિક્ષકો, સરકારી કર્મી જોડાશે. શનિ-રવિવારે દરેક બૂથ પર કેમ્પ યોજાશે. શહેરમાં બીએલઓ સાથે સહાયકો નિયુક્ત કરાઇ રહ્યાં છે. વિવિધ યુનિ.ના વીસી સાથે બેઠક કરી યુથ વોલન્ટિયર્સ મતદારોને સ્થાન, મેપિંગ-મેચિંગ તથા ફોર્મ ભરવામાં સહાય પૂરી પાડે તેવી વ્યવસ્થા કરાઇ છે. મ.સ.યુનિ. સહિતના યુનિ.ના વોલેન્ટેરિયર્સને જોડાશેજિલ્લા ચૂંટણી અધિકારીએ વિવિધ યુનિ.ના વીસી સાથે બેઠક યોજી યુથ વોલન્ટિયર્સ દ્વારા મતદારોને સ્થાન શોધવામાં, મેપિંગ-મેચિંગ પ્રક્રિયામાં તથા ફોર્મ ભરવામાં સહાય પૂરી પાડવા સૂચના અપાઇ છે. જેથી યુવાનોની ઊર્જાનો ઉપયોગ થઈ શકે. યુવા વિદ્યાર્થીઓ મતદારને નામ શોધવા, ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયામાં મદદ કરશે. જે નાગરિકોના સર્ચમાં વિગતો ના મળે તેમણે શું કરવું1 1987 પહેલાં જન્મ થયેલો હોય તો એક દસ્તાવેજ2 1987 થી 2004 વચ્ચે જન્મ થયેલો હોય તો બે દસ્તાવેજ3 2004 પછી જન્મ થયેલા માટે પોતાનું તથા માતા–પિતાના ત્રણ દસ્તાવેજોની વ્યવસ્થા રાખવી જરૂરી રહેશે.4 દસ્તાવેજોની અછત હોય એવા નાગરિકોને ધ્યાનમાં રાખીને વીએમસી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિશેષ દસ્તાવેજ સહાય કેમ્પો પણ યોજાશે.5 જેમનું મેપિંગ સફળતાપૂર્વક થઈ ગયું છે તેમને કોઈ દસ્તાવેજ રજૂ કરવાની જરૂર રહેતી નથી. કલેક્ટર કચેરીથી બોલું છું કહી આચાર્યો પાસે હાજરી પત્રકના ફોટા મગાવાય છેવડોદરા | સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન-2025 અંતર્ગત વડોદરા જિલ્લામાં 10 વિધાનસભામાં સરકારી સ્કૂલોના શિક્ષકો બીએલઓ તરીકે કામ કરી રહ્યા છે. જો કે બીએલઓની એપ બે દિવસથી બંધ હોવાથી ફોર્મ અપલોડ થઇ રહ્યા નથી. જ્યારે કલેક્ટર કચેરીમાંથી શાળાના આચાર્યો પાસે હાજરી પત્રકના ફોટા મંગાવાઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સરકારી શાળાના શિક્ષકોએ 5થી વધુ ધક્કા ખાવા પડી રહ્યાં છે. જ્યારે જિલ્લા ચૂંટણી અધિકારીઓ આચાર્યો પાસે હાજરી પત્રકના ફોટા મગાવી રહ્યાં છે. કેટલા શિક્ષકો સ્કૂલમાં છે તેની વિગતો જાણવા ફોન કરી હાજરી પત્રકો મગાતા હોવાથી આચાર્યોમાં રોષ વ્યાપ્યો છે. સરનાં કામમાં શિક્ષકો અડધો સમય જ સ્કૂલોમાં જતા હોવાથી શિક્ષણને ગંભીર અસર પડી રહી છે. સરકારી સ્કૂલોમાં આ વખતે વિદ્યાર્થીઓનો કોર્સ પૂરો થાય તેવી કોઇ શકયતાઓ નથી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:01 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:નીતિશ 25 વર્ષમાં 10મી વાર CM બનશે; અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી 10 લોકો ગૂમ, પાકિસ્તાની નેતા બોલ્યા- બ્લાસ્ટ કરીને મોદીને પડકાર્યા

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર એક પાકિસ્તાની નેતાના નિવેદન વિશે હતા. તેમણે સ્વીકાર્યું કે પાકિસ્તાની આતંકવાદીઓએ દિલ્હી બોમ્બ વિસ્ફોટોને અંજામ આપ્યો હતો. જ્યારે, આજે નીતિશ કુમાર 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. RSS વડા મોહન ભાગવત મણિપુરની મુલાકાત લેશે. રાજ્યમાં વંશીય હિંસા પછી આ તેમનો પહેલો પ્રવાસ છે. 2. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છત્તીસગઢની મુલાકાત લેશે. તેઓ અંબિકાપુરમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ સમારોહમાં હાજરી આપશે. કાલના મોટા સમાચારો 1. નીતિશનું રાજીનામું, કાલે 10મી વખત લેશે શપથ:ગાંધી મેદાનમાં સમારોહ, 2 મંચ, 150 મહેમાન; PM મોદી સહિત 11 રાજ્યોના CM સામેલ થશે નીતિશ કુમારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. આવતીકાલે ગુરુવારે તેઓ 10મી વખત CM પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ ગાંધી મેદાનમાં યોજાશે. સમારોહ માટે 2 મંચ બનાવવામાં આવ્યા છે. તેમાં PM મોદી સહિત 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સામેલ થશે. સાથે જ 150 મહેમાનોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ પહેલા બિહાર વિધાનમંડળના સેન્ટ્રલ હોલમાં નીતિશ કુમારને NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. તે જ સમયે, સવારે 11 વાગ્યે પટનાના BJP કાર્યાલયમાં ધારાસભ્ય દળની બેઠક થઈ, જેમાં સમ્રાટ ચૌધરીને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. વિજય સિન્હાને વિધાનમંડળના ઉપનેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. એટલે કે સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા બંને ડેપ્યુટી CM હશે. જાણકારી મુજબ, નીતિશની સાથે-સાથે સમ્રાટ અને વિજય સિન્હા પણ ડેપ્યુટી CM તરીકેના શપથ લઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. અલ ફલાહ યુનિવર્સિટીના 10 લોકો ગૂમ:દિલ્હી વિસ્ફોટો સાથે લિંક હોવાની શંકા; જૈશ અને આત્મઘાતી હુમલાઓ પાકિસ્તાન એપ. પર ફંડ માગે છે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ, હરિયાણાના ફરીદાબાદમાં અલ ફલાહ યુનિવર્સિટી શંકાના દાયરામાં આવી છે. દિલ્હી વિસ્ફોટ પછી યુનિવર્સિટી સાથે સંકળાયેલા દસ લોકો ગુમ છે. તેમના ફોન પણ બંધ છે. એજન્સીને શંકા છે કે ગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કરતા આ વ્યક્તિઓ વિસ્ફોટમાં સામેલ હોઈ શકે છે. દરમિયાન આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ભારતમાં વધુ આત્મઘાતી હુમલાઓ માટે ભંડોળ એકત્ર કરવાનું શરૂ કર્યું છે. જૈશે દરેક પાસેથી 6,400 રૂપિયાની રકમનું ફંડ માગ્યું છે. આ પૈસા પાકિસ્તાની ઓનલાઈન પેમેન્ટ એપ દ્વારા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ પૈસાનો ઉપયોગ આતંકવાદીઓ માટે જૂતા અને કપડાં ખરીદવા માટે કરવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. પાકિસ્તાની નેતાએ કહ્યું - લાલ કિલ્લાથી કાશ્મીર સુધી હુમલા કર્યા:મેં મોદીને પણ પડકાર ફેંક્યો; બલુચિસ્તાનમાં લોહી વહેવડાવવાનું બંધ કરે ભારત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી અનવરુલ હકે ભારતમાં આતંકવાદી હુમલાઓની કબૂલાત કરી છે. એક નિવેદનમાં, હકે સ્વીકાર્યું કે પાકિસ્તાની આતંકવાદીઓએ લાલ કિલ્લાથી લઈને કાશ્મીરના જંગલો સુધી ભારતને નિશાન બનાવ્યું છે. પીઓકે વિધાનસભામાં આપેલા નિવેદનમાં હકે કહ્યું, મેં પહેલેથી જ કહ્યું હતું કે જો ભારત બલુચિસ્તાનમાં લોહી વહેવડાવવાનું ચાલુ રાખશે, તો અમે લાલ કિલ્લાથી કાશ્મીરના જંગલો સુધી ભારત પર હુમલો કરીશું. થોડા દિવસો પછી આપણા શાહીનોએ ઘૂસીને હુમલો કર્યો, અને તેઓએ એટલી તાકાતથી હુમલો કર્યો કે મરનારાની સંખ્યા ગણી શકાય નથી. હકે કહ્યું કે પદ પર રહીને તેમણે નરેન્દ્ર મોદી અને ભારતમાં તેમની સરકારને પણ પડકાર ફેંક્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ભારત-પાકિસ્તાન યુદ્ધનો ફાયદો ઉઠાવવાનો ચીન પર આરોપ:યુએસ રિપોર્ટમાં દાવો- રાફેલના વેચાણને રોકવા માટે ખોટી AI તસવીરોનો ઉપયોગ કર્યો મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી લશ્કરી સંઘર્ષ પછી તરત જ ચીને ખોટા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને ખોટી માહિતી ફેલાવવાનું અભિયાન શરૂ કર્યું હતું, આ ખુલાસો એક યુએસ રિપોર્ટમાં થયો છે. યુએસ-ચાઈના ઈકોનોમિક એન્ડ સિક્યોરિટી રિવ્યુ કમિશને તેના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે ચીને ભારત-પાકિસ્તાન સંઘર્ષનો ફાયદો ઉઠાવ્યો અને તેના શસ્ત્રોની ક્ષમતાઓ દર્શાવવાનો પ્રયાસ કર્યો. રિપોર્ટ મુજબ, ચીને ફ્રાન્સના રાફેલ ફાઇટર જેટના વેચાણને રોકવા અને તેના J-35 ફાઇટર પ્લેનનો પ્રચાર કરવા માટે ખોટા સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. રાહુલ ગાંધી વિરુદ્ધ 272 રિટાયર્ડ જજ-ઓફિસરોનો લેટર:કહ્યું- ECની છાપ બગાડી રહી છે કોંગ્રેસ; રાહુલ વોટ ચોરી પર 3 પ્રેસ કોન્ફરન્સ કરી ચૂક્યા છે બુધવારે દેશભરના 272 નિવૃત્ત જજ અને અમલદારોએ ચૂંટણી પંચની કથિત વોટ ચોરીની ટીકા કરતો એક ખુલ્લો લેટર બહાર પાડ્યો હતો. આ લેટરમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષની ટીકા કરવામાં આવી હતી. આ લેટર પર 16 ભૂતપૂર્વ જજ, 123 નિવૃત્ત અમલદારો (14 ભૂતપૂર્વ રાજદૂતો સહિત) અને 133 નિવૃત્ત લશ્કરી અધિકારીઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ઓપન લેટરમાં, આ નિવૃત્ત જજ અને અમલદારોએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થાઓની વિશ્વસનીયતાને સતત નબળી પાડવાની કોશિશ કરી રહી છે. આનાથી દેશની લોકશાહી વ્યવસ્થામાં બિનજરૂરી અવિશ્વાસ ફેલાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 50 લાખની લૂંટ થાય એ પહેલા જ 4 લૂંટારા દબોચાયા:અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને લૂંટ કરવાનું કાવતરું નિષ્ફળ, મહેસાણા LCBએ 2 પિસ્તોલ જપ્ત કરી મહેસાણા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક કાર્યવાહીમાં અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે 50 લાખની ધાડ પાડવાના પૂર્વ-આયોજિત કાવતરાનો પર્દાફાશ કર્યો છે. કાવતરામાં સામેલ આઠ આરોપીઓ પૈકી ચાર શખ્સોને 2 પિસ્તોલ અને ચોરીના વાહન સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે વિસનગર તાલુકા પોલીસ મથકમાં તમામ સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા LCB પોલીસ સ્ટાફ રાત્રિ પેટ્રોલિંગમાં હતો ત્યારે દુધ સાગર ડેરી આગળ PSI એમ. ડી. ડાભીની ટીમના ASI ડાહ્યાભાઇ ગણેશભાઇને ખાનગી બાતમી મળી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. નલિયા 10.5 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડુ:અમરેલીમાં 11.2, ગાંધીનગરમાં 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું, રાજ્યમાં ઠંડીનો પારો વધ્યો હવામાન વિભાગ ગઈકાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, એટલે કે ઠંડીમાં વધારો થયો છે. સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નલિયા ખાતે 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ત્યારબાદ અમરેલીમાં 11.2 અને ગાંધીનગર જ્યાં ન્યૂનતમ તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વડોદરામાં 13.6 અમદાવાદમાં 14 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. પોરબંદરમાં 13.1 ડિગ્રી સેલ્સિયસ અને રાજકોટ 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ઐશ્વર્યા રાય PM મોદીને પગે લાગી:મોદીએ પણ સામે હાથ જોડ્યા; પુટ્ટપર્તિમાં સત્યસાંઈબાબાનો શતાબ્દી સમારોહ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : લોરેન્સના ભાઈ અનમોલને અમેરિકાથી ભારત લવાયો:પહેલી તસવીર સામે આવી; સલમાન ખાનના ઘરે ફાયરિંગનો આરોપ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : રાજસ્થાનમાં રોયલ વેડિંગ, ડોનાલ્ડ ટ્રમ્પનો દીકરો સામેલ થશે:અમેરિકી બિઝનેસમેનના દીકરાના લગ્નમાં ઉદયપુર આવશે, 4 દિવસ લેક સિટીમાં રહેશે VVIP મૂવમેન્ટ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ભારતને Su-57 ફાઇટર જેટ આપવા રશિયા તૈયાર:ટેકનોલોજી પણ શરત વિના ટ્રાન્સફર કરવામાં આવશે; આ વિમાનો અમેરિકન F-35 જેટનો તોડ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : IT કંપની ઇન્ફોસિસ પાસે જરૂરિયાત કરતા વધારે રોકડ:એટલે જ 18,000 કરોડના શેર બાયબેક કરશે; આવતીકાલથી શરૂ થતું બાયબેક શું છે? વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ભારતીય આર્ચર્સ ઢાકામાં 10 કલાક સુધી ફસાયા:હિંસા વચ્ચે સુરક્ષા વગર લોકલ બસમાં બેસાડી રાખ્યા; ખૂબ જ ખરાબ જગ્યાએ ઉતારો આપ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 'મહિનાઓમાં હું માગશર છું':21 નવેમ્બરથી શ્રીકૃષ્ણનો પ્રિય મહિનો શરૂ; યમુના સ્નાન અને લક્ષ્મીજી સાથે શંખ પૂજાની પરંપરા વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે એક માણસે 3 કલાકમાં નોકરી છોડી દીધી એક માણસે જોડાયાના માત્ર 3 કલાક પછી તેની પહેલી નોકરી છોડી દીધી. તેણે રેડિટ પર શેર કર્યું કે કંપનીએ તેને પૂર્ણ-સમયની નોકરી ઓફર કરી હતી અને દાવો કર્યો હતો કે તે પાર્ટ-ટાઇમ કામ હતું. 9 કલાકના દિવસ માટે પગાર ફક્ત ₹12,000 હતો. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થયા પછી, કેટલાક લોકોએ તેના નિર્ણયની પ્રશંસા કરી, જ્યારે કેટલાક લોકોએ તેની ટીકા કરી. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. લક્ષાધિપતિ-3 : કરસનભાઈ પટેલે અમદાવાદમાં ઘેર-ઘેર ફરી પાઉડર વેચ્યો:1000 રૂપિયા ઉધાર લઈ નિરમા ઊભી કરી, વિદેશી કંપનીઓને ધોળા દિવસે તારા બતાવી દીધા 2. ગ્રાઉન્ડ રિપોર્ટ : મક્કા-મદીના કોરિડોર આટલો ખતરનાક કેમ, 45 ભારતીયો જીવતા સળગી ગયા:એકમાત્ર શોએબ કેવી રીતે જીવતો બચ્યો, એક પરિવારની 3 પેઢી સમાપ્ત 3. નાની ઉંમરમાં પિતા ગુમાવ્યા ને રોજમદાર મજૂર તરીકે નોકરી કરી:મહેનત અને ખંતથી RFO બની રિટાયર થયા, કાયમી નોકરી માટે અનોખી માનતા માની 4. મનડાં મોહી, બોક્સઓફિસ લૂંટ્યું!:'લાલો..' ગુજરાતી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની; 'ગુજરાતીઓએ બે મહિનામાં ગુજરાતી મૂવી પાછળ 70 કરોડ ખર્ચ્યા' 5. પરિવારે લાશ સ્વીકારી જેની અંતિમવિધિ કરી એ જીવતો મળ્યો:અમૃતસરની હોટલમાં પરિણીત પ્રેમિકા સાથે પોલીસે ઝડપ્યો, કોન્સ્ટેબલની સૂઝબૂઝથી ઉકેલાયો કેસ 6. ભાસ્કર એક્સક્લૂસિવ : પહેલા સરેન્ડરની ઓફર, પછી હિડમાને ઘેરીને મારી નાખ્યો:ઇનામી નક્સલીના એન્કાઉન્ટરની ઇનસાઇડ સ્ટોરી, આખરે કેવી રીતે ગ્રેહાઉન્ડના જાળમાં ફસાયો 7. આજનું એક્સપ્લેનર:ઇસ્લામમાં આત્મહત્યા હરામ, તો પછી મોટા ભાગના સુસાઇડ બોમ્બર મુસ્લિમ કેમ? ; કેવી રીતે થઈ એની શરૂઆત, સૌથી નાનો ફિદાયીન 4 વર્ષનો કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ રાશિફળ ગુરુવારનું રાશિફળ:સિંહ રાશિના લોકોને અધૂરા કાર્યોને પૂરા કરવા માટે ઉત્તમ દિવસ; તુલા જાતકોને શુભચિંતકની મદદથી કોઈ મહત્ત્વાકાંક્ષા પૂરી થશે વાંચો સંપૂર્ણ સમાચાર...

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:00 am

ત્રણ સામે ફરિયાદ:મલાણા ગામમાં ખેડૂત પર હુમલો

પાલનપુરના મલાણામાં ખેડૂત પર હુમલો કરનારા ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. મલાણા ગામના ખેડૂત પ્રવિણભાઈ ધુડાભાઈ જેગોડા સોમવારે સવારના પોણા આઠ વાગ્યે ડેરીમાં દૂધ ભરાવવા ગયા હતા. તેઓ લાઇનમાં આગળ ગયા હતા ત્યારે ગામના પરાગભાઈ રગાભાઈ ભુતડીયાએ વાંધો ઉઠાવતાં તકરાર સર્જાઈ હતી. પ્રવિણભાઈએ શાંતિપૂર્વક દૂધ ભરાવી વાહન પાસે જતા જ પરાગભાઈ, શામળભાઈ રગાભાઈ ભુતડીયા અને કમલેશભાઈ અમરાભાઈ ભુતડીયાએ મળીને તેમને અપશબ્દો બોલી હુમલો કર્યો હતો. આ દરમિયાન શામળભાઈએ છાતીમાં ધક્કો મારી ફટકો કર્યો હતો જ્યારે કમલેશભાઈએ લાફો માર્યો હતો. ​​​​​​​પરાગભાઈ દૂધની બરણી ઉઠાવી વધુ મારવા જતા ગામલોકોએ વચ્ચે પડી પ્રવિણભાઈને બચાવ્યા હતા. આરોપીઓ જતા જતા જે બચી ગયો છે, હવે જાનથી મારી નાખીશું જેવી ધમકી આપી જતા રહ્યા હતા. આ અંગે પ્રવિણભાઈએ ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:46 am

ચોરીનો ભેદ ઉકેલાયો:વાવના કુંભારડીમાં મામાના ઘરમાંથી 22.48 લાખની ચોરી કરનાર ભાણો ઝબ્બે

વાવ તાલુકાના કુંભારડી ગામમાં મામાના ઘરમાંથી થયેલી રૂ. 22.48 લાખની ઘરફોડ ચોરીનો ભેદ થરાદ પોલીસે ઉકેલી લીધો છે. સોના-ચાંદીના દાગીના ચોરી કર્યા બાદ બાઈક લઈને તેને વેચવા નીકળેલા ભાણાને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. થરાદ પોલીસ બુધવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે કાળુ ઉર્ફે હિતેષભાઈ મેઘરાજભાઈ રબારી(રહે .પીલુડા, તા.થરાદ)ને બાઈક નંબર જીજે-08-ડીઆર-7110 લઈને દાગીના વેચવા થરાદ જતો હતો.ત્યારે થરાદના ટોડાની પાળ નજીકથી ઝડપી પાડ્યો હતો. તેની પાસે રહેલા થેલામાં તપાસ કરતા થેલામાંથી સોના-ચાંદીના દાગીના મળતાં તે બાબતે પુછપરછ કરતા આરોપી હિતેષભાઈ મેઘરાજભાઈ રબારીએ કબૂલ્યું હતું કે, તેણે 17 નવેમ્બર 2025 ની રાત્રે પોતાના મામા રાણાભાઈ જગમાલભાઈ રબારી(રહે.કુંભારડી, તા. ધરણીધર)ના ઘરમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે રૂ.22.48 લાખના દાગીના સહિત રૂ. 23.03 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:44 am

શિક્ષકોને લાભ થશે:194 શિક્ષકો,39 સેવકો અને 26 કલાર્ક સહિત 259 નો જૂની પેન્શન યોજનામાં સમાવેશ

રાજ્ય સરકાર દ્વારા નવી પેન્શન યોજનામાંથી જૂની પેન્શન યોજનામાં પરિવર્તન સંબંધિત મહત્ત્વપૂર્ણ ચુકાદા બાદ બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ ક્ષેત્રમાં ખુશીની લહેર ફેલાઈ છે. 01/04/2005 પહેલાં માન્ય ભરતી પ્રક્રિયા પૂર્ણ થયેલા 194 શિક્ષકો, 39 પટાવાળા, 26 કલાર્ક સહિત કુલ 259 કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના બિન-સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 259 શિક્ષક તથા કર્મચારીઓને નવી પેન્શન યોજનામાંથી જૂની પેન્શન યોજનામાં સામેલ કરવાનો કચેરી આદેશ જારી થયો છે. નાણા વિભાગે 01/04/2005 પહેલાં ભરતી બોર્ડની સ્પર્ધાત્મક પરીક્ષા અથવા રાજ્યની ફિક્સ પગાર નીતિ હેઠળ માન્ય ભરતી પ્રક્રિયા પૂર્ણ કરનારોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો પ્રાવધાન કર્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષણ વિભાગના સૂચન અનુસાર કર્મચારીઓના તમામ આધાર પુરાવા મેળવી દરખાસ્ત રાજ્ય કચેરીને મોકલી હતી. તપાસમાં 255 કર્મચારીઓ યાદી ‘અ’ તથા 4 યાદી ‘બ’ મુજબ પાત્ર ઠર્યા હતા. આદેશ મુજબ પાત્ર કર્મચારીઓને તેમની જોડાણ તારીખથી જૂની પેન્શન યોજનાનો લાભ મળશે તથા સેવાપોથીમાં નોંધ કરવાની રહેશે. હાલ સેવા આપતા કર્મચારીઓના GPF ખાતા ખોલાવવાની કામગીરી પણ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા હાથ ધરાશે.તેમ સુત્રોએ જણાવ્યું હતુ.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:43 am

કામગીરી:પાલનપુર શહેરમાં ગલબાભાઈની પ્રતિમાથી ડેરી રોડ નવો બનાવાયો

પાલનપુરમાં વરસાદ દરમિયાન ધોવાઇ ગયેલા રોડ નવા બનાવવા માટે નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યાં ગલબાભાઇના પુતળાથી ડેરી રોડ નવો બનાવવામાં આવતાં વાહન ચાલકો રાહત અનુભવી રહ્યા છે. પાલનપુરમાં ગલબાભાઇનું પુતળુ, જહાંનઆરા બાગથી કન્યા વિધાલય, સોનારીયા બંગલા, આઇટીઆઇ, માર્કેટયાર્ડથી બનાસડેરીને સાંકળતો માર્ગ બિસ્માર બની ગયો હતો. ઠેર ઠેર ખાડા પડી ગયા હોવાથી વાહનચાલકો અને સ્થાનિક રહીશો હાલાકીમાં મુકાઇ રહ્યા હતા. આ અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવતાં નગરપાલિકા દ્વારા માર્ગ

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:26 am

કાર્યવાહી:પાટણમાં સગીરાના અપહરણ–દુ ષ્કર્મના આરોપીને જેલ મોકલાયો

પાટણ તાલુકાના એક ગામેથી 15 ઓકટોબરના રોજ કિશોરીના અપહરણ અને દુષ્કર્મના ગંભીર કેસમાં મુખ્ય આરોપી ઋત્વિક ઠાકોરને પોલીસ દ્વારા 13 નવેમ્બરે ઝડપી પોક્સો કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.જે રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ઉપરાંત, બંનેએ ઘરે થી નીકળતા પોતાના ફોન નાશ કર્યા હોવાથી ઇન્સ્ટાગ્રામ ચેટ રિકવર કરવાના ટેકનિકલ પુરાવાઓ એકત્ર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:25 am

સરવે:મુંબઈ મહાપાલિકા સંચાલિત મરાઠી સહિતના માધ્યમોની સ્કૂલોમાં ઘટાડો

વિવિધ કારણોસર મહાપાલિકાની સ્કૂલો બંધ થવાનું જારી છે. ન્યૂ માહિમ સ્કૂલનો મુદ્દાના લીધે બંધ થતી સ્કૂલોની બાબત ફરી ચર્ચામાં છે. મુંબઈમાં છેલ્લા ત્રણ વર્ષમાં વિવિધ માધ્યમની 28 સ્કૂલ બંધ કરવામાં આવ્યાનું પ્રકાશમાં આવ્યું છે. એમાં સૌથી વધુ 17 સ્કૂલ મરાઠી માધ્યમની છે. તેમ જ અન્ય માધ્યમની સ્કૂલોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. જો કે એની સામે અંગ્રેજી સ્કૂલોની સંખ્યા વધી હોવાનું જણાયું છે. મુંબઈ મહાપાલિકાના શિક્ષણ વિભાગ અંતર્ગત સ્કૂલનો દરજ્જો અને શૈક્ષણિક ગુણવત્તા વધારવા વિવિધ ઉપક્રમ અમલમાં મૂકવામાં આવે છે. સ્કૂલોમાં પાયાભૂત સુવિધાઓ અને મહત્વની વાત એટલે ખાનગી સ્કૂલોની ન પરવડતી ફીના લીધે અનેક વાલીઓ મહાપાલિકાની સ્કૂલમાં સંતાનને દાખલ કરવાનું પસંદ કરે છે. આમ છતાં સ્કૂલોની સંખ્યા ઓછી થતી હોવાનું દેખાય છે. શિક્ષકોની કમી, રખડી પડેલું રિડેવલપમેંટ, પૂરતી દેખભાળના અભાવ જેવા કારણોસર મહાપાલિકાની સ્કૂલોની સંખ્યા ઓછી થઈ રહી છે. થોડા મહિના પહેલાં ભાંડુપમાં પાસપોલી મરાઠી સ્કૂલ નં.2 અને ખિંડીપાડા મરાઠી સ્કૂલ બંધ પડી હોવાનું જાહેર થયું હતું. એ પછી કોલાબા ખાતેની મહાપાલિકા સ્કૂલ પણ બંધ થઈ. તેથી શિક્ષક સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી હતી. માહિમના મોરી રોડ પરની મહાપાલિકા સ્કૂલ થોડા વર્ષ પહેલાં પુનર્બાંધણી માટે તોડી પાડવામાં આવી હતી. આંકડાઓ શું જણાવે છે?મહાપાલિકાની પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલ મળીને કુલ સંખ્યા 2021-22માં 1 હજાર 146 હતી. જો કે 2024-25માં આ સંખ્યા 1 હજાર 118 થઈ. એટલે કે ત્રણ વર્ષમાં 28 સ્કૂલ ઓછી થઈ. એમાં સૌથી વધારે 17 સ્કૂલ મરાઠી માધ્યમની છે. હિંદીની 3 અને ઉર્દૂની 3 એમ કુલ છ સ્કૂલનો ઘટાડો થયો. હાલની સ્થિતિમાં હિંદી માધ્યમની 216 અને ઉર્દૂ માધ્યમની 186 સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. દરમિયાન આ સ્કૂલોની સંખ્યામાં છ સ્કૂલનો ઘટાડો થયો છે અને અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં 6 સ્કૂલનો વધારો થયો છે. 2021-22માં 54 સ્કૂલ હતી જે અત્યારે 60 છે. આ ત્રણ વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એ સાથે જ શિક્ષકોની સંખ્યામાં ઘટાડો થયાનું જણાયું છે. 2021માં 2 લાખ 92 હજાર 825 વિદ્યાર્થીઓ માટે 9 હજાર 755 શિક્ષકો હતા. હવે 2024-25માં 3 લાખ 10 હજાર 426 વિદ્યાર્થીઓને ભણાવવા ફક્ત 8 હજાર 630 શિક્ષકો છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

આયોજન:વાઢવણથી પાલઘર માલનું સીધું પરિવહન, ભારતીય રેલવેની ગૂડ્સ લાઈન સાથે જોડાણ

વાઢવણ પોર્ટથી ન્યૂ પાલઘર દરમિયાન છ રેલવે પાટા ઓળંગીને નવું મહાપરિવહન શરૂ કરવામાં આવશે. વાઢવણ બંદરને ભારતીય રેલવેની ગૂડ્સ લાઈન સાથે સીધા જોડવા માટે પશ્ચિમ રેલવે માર્ગમાં પહેલી વખત જ 22.23 કિલોમીટરનો પ્રકલ્પ ઊભો કરવામાં આવી રહ્યો છે. એમાં રેલવે પાટા ઓળંગતો માર્ગ એલિવેટેડ હશે. આ પ્રકલ્પ દેશના માલપરિવહન ક્ષેત્ર માટે મહત્વની કડી સાબિત થશે. વાઢવણ ખાતે દેશનું સૌથી મોટું બંદર ઊભું થઈ રહ્યું છે. આ બંદરમાં વિશ્વના અત્યાર સુધીના સૌથી મોટા જહાજ આવી શકશે. તેથી વિદેશથી સીધા ભારત માલ લાવવો શક્ય થશે. દરમિયાન આ બંદર પર આવતા માલનું પરિવહન સમગ્ર દેશમાં કરવા એ રેલવે માર્ગે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સાથે જોડવો જરૂરી છે. એના માટે પશ્ચિમ રેલવે 1423.25 કરોડ રૂપિયાના ખર્ચવાળો પ્રકલ્પ ઊભો કરી રહી છે. આ પ્રકલ્પને 23 જુલાઈ 2025ના માન્યતા મળી છે અને ઓક્ટોબર 2028 સુધી કામ પૂરું કરવું અપેક્ષિત છે. વાઢવણ પોર્ટ પ્રોજેક્ટ લિમિટેડ અંતર્ગત 2.60 કિલોમીટર પરિસરમાં એક આધુનિક હોલ્ડિંગ યાર્ડ બાંધવામાં આવશે. આ યાર્ડના લીધે બંદર તરફ જતી અને આવતી માલગાડીઓનું વ્યવસ્થાપન કરવાની સગવડ થશે. વાઢવણ પોર્ટને રેલવે માર્ગે જોડવાથી આયાત-નિકાસ સાંકળ ઝડપી થવામાં મદદ થશે અને પાલઘર પરિસરના ઔદ્યોગિક વિકાસને પણ ઉત્તેજન મળશે. આ પ્રકલ્પ માટે જમીન સંપાદન ભારતીય રાષ્ટ્રીય હાઈવે ઓથોરિટી તરફથી કરવામાં આવે છે. 90 ટકા જમીન રેલવે અને જવાહરલાલ નહેરુ બંદર પ્રાધિકરણને સુપ્રત કર્યા પછી બાંધકામ ટેંડર જારી કરવામાં આવશે. આગામી આર્થિક વર્ષમાં આ પ્રકલ્પનું ખાતમૂરત કરી શકાય એ માટે અત્યારે ભૂસંપાદન પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. વાઢવણ પોર્ટ દેશનો મહત્વકાંક્ષી પ્રકલ્પ છે. આ પ્રકલ્પ વિકસિત ભારતનું વિઝન સાધ્ય કરવા મહત્વની ભૂમિકા ભજવશે. પશ્ચિમ રેલવે નવા રેલવે માર્ગના માધ્યમથી વાઢવણ પોર્ટ દેશના મહત્વના રેલ નેટવર્ક સાથે સીધા જોડવામાં આવશે. પશ્ચિમ રેલવેની દષ્ટિએ આ બમણો લાભ આપતો પ્રકલ્પ છે એમ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું. પ્રવાસી પરિવહન પર અસર નહીંઆ પ્રકલ્પ અત્યારના છ પાટા ઓળંગીને સીધા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈંડિયા લિમિટેડની ગૂડ્સ લાઈન સાથે જોડવામાં આવશે. એના માટે રેલવે પાટા પરથી જતો રેલવે માર્ગ તૈયાર કરવામાં આવશે. રેલવે અધિકારીઓના મતે આ રેલવે ઓવરબ્રિજ ટેકનિકલ દષ્ટિએ ડિઝાઈન કરવામાં આવ્યો છે. એની ટ્રેનની અવરજવર પર કોઈ અસર નહીં થાય. ટ્રેન સમયસર દોડશે અને સ્થાનિક ટ્રેનની અવરજવર અખંડિતપણે ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

સિટી એન્કર:બેલાપુર-ઉરણ રેલવે લાઈનમાં 10 વધારાની લોકલ ફેરીઓ

મધ્ય રેલવેના બેલાપુર-ઉરણ રેલવે લાઈનના પ્રવાસીઓને બે ભેટ મળશે. રેલવે પ્રશાસને આ માર્ગ પર 10 ફેરીઓ વધારવાનું નિયોજન પૂરું કર્યું છે. એ સાથે જ તરઘર અને ગવ્હાણ એમ બે નવા રેલવે સ્ટેશનના કામ પણ પૂરા થયા છે. વધારાની ફેરીઓ સહિત નવા સ્ટેશન આ મહિનામાં શરૂ કરવાની હિલચાલ મધ્ય રેલવે તરફથી શરૂ કરવામાં આવી છે. તરઘર રેલવે સ્ટેશન નવી મુંબઈ એરપોર્ટ નજીક હોવાથી એનો ફાયદો પ્રવાસીઓ અને એરપોર્ટ કર્મચારીઓને થશે. મધ્ય રેલવેની મુખ્ય, હાર્બર, ટ્રાન્સહાર્બર લાઈનની સરખામણીએ સીવૂડ બેલાપુર-ઉરણ માર્ગ પર લોકલ ફેરીઓ ઘણી ઓછી છે. ઉરણ માર્ગ પર પ્રવાસી સંખ્યા વધી રહી છે છતાં લોકલ ફેરીઓ વધારવામાં આવી નથી. ઉરણ માર્ગ પર દોઢ કલાકના અંતરે લોકલ ઉપલબ્ધ છે. એના લીધે લોકલ ફેરીઓ વધારવાની માગણી પ્રવાસીઓ તરફથી થઈ રહી હતી. સીવૂડ-બેલાપુર-ઉરણ માર્ગ પર 5 અપ અને 5 ડાઉન લોકલ ફેરી વધારવામાં આવશે. એનું નિયોજન પૂરું થયું છે. એની સાથે તરઘર અને ગવ્હાણ એમ બે નવા રેલવે સ્ટેશન પણ શરૂ કરવામાં આવશે. બંને રેલવે સ્ટેશનના કામ પૂરા થયા છે. આ જ મહિનામાં લોકલની ફેરીઓ અને સ્ટેશન એક સાથે ખુલ્લા મૂકવામાં આવશે એમ રેલવે અધિકારીએ જણાવ્યું હતું. ગવ્હાણ રેલવે સ્ટેશનમાં સ્વચ્છતાગૃહ, પ્લેટફોર્મ, ટિકિટબારી, પાર્કિંગ લોટના કામ પૂરા થયા છે અને થોડા નાના કામ ચાલુ છે. તરઘર અને ગવ્હાણ સ્ટેશન સિડકોએ બાંધ્યા છે. સીવૂડ-બેલાપુર-ઉરણ માર્ગ પર શરૂઆતમાં 10 અપ અને 10 ડાઉન લોકલ ફેરી વધારવાનું નિયોજન હતું. જો કે પ્રવાસી ટિકિટ વેચાણ અને પ્રવાસી સંખ્યા ધ્યાનમાં લેતા કુલ 10 લોકલ ફેરી વધારવા પર એકમત થયા છે. એના લીધે ઉરણ માર્ગ પર અત્યારની કુલ ફેરીઓની સંખ્યા 40થી વધીને 50 થશે. વધારાની ફેરીના કારણે બે લોકલ વચ્ચેનું અંતર ઓછું થવામાં મદદ થશે એમ રેલવે અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું. તરઘર સ્ટેશનનો ફાયદોતરઘર રેલવે સ્ટેશન નવી મુંબઈ એરપોર્ટથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન હશે. પ્રવાસીઓ અને એરપોર્ટના કર્મચારીઓને એનો ફાયદો થશે. આ સ્ટેશન લગભગ 2 લાખ સ્કવેર ફૂટ એરિયામાં છે. સ્ટેશન પરિસરને રસ્તા, કોસ્ટલ મેટ્રો, એરપોર્ટની સ્કાયટ્રેન સાથે જોડવાનું નિયોજન છે. નવા સ્ટેશનમાં પાંચ પ્લેટફોર્મ છે. અહીંના પાર્કિંગ લોટની ક્ષમતા 730 ફોર વ્હીલરની છે. ખાનગી ફોર વ્હીલર, બસ, રિક્ષા માટે અવરજવરની સ્વતંત્ર વ્યવસ્થા છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

તલોદ ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડનું કામ શરૂ:₹61.71 કરોડના ખર્ચે પ્રોજેક્ટ આગળ વધ્યો

તલોદ-મોડાસા રોડ પર આવેલા રેલવે ફાટક પર નિર્માણ પામનાર રેલવે ઓવરબ્રિજની બાજુમાં સર્વિસ રોડ બનાવવાની કામગીરી શરૂ થતા નગરજનોમાં આનંદની લાગણી પ્રસરી છે. અગાઉ ₹44 કરોડના અંદાજિત ખર્ચના આ પ્રોજેક્ટમાં નબળી કામગીરીના કારણે તત્કાલીન કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યો હતો. સર્વિસ રોડના અભાવે ચોમાસામાં ખાડામાં પાણી ભરાતા અકસ્માતો સર્જાતા હતા, જેનાથી ખેડૂતો અને અરજદારો સહિત લોકોને ભારે હાલાકી થતી હતી. સ્થાનિક ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર અને તલોદ નગર પાલિકા પ્રમુખ રમીલા બેન ચાવડાની રજૂઆતને ધ્યાનમાં લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિટેન્ડર કરવા સૂચના આપી હતી. હવે આ પ્રોજેક્ટ માટે ₹61.71 કરોડના ખર્ચે ટેન્ડર મંજૂર કરી વર્ક ઓર્ડર અપાયો છે. ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત થયા બાદ કોન્ટ્રાક્ટરે આજે સર્વિસ રોડની કામગીરી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

ગંદકીના ઢગલા:મોડાસા રેલવે લાઇન પાસેની સરકારી જમીન પાસેના રસ્તા પર ગંદકીના ઢગ

મોડાસા શહેરના દક્ષિણ વિભાગમાંથી પસાર થતી રેલવે લાઇન પાસે ખુલ્લી સરકારી જમીનમાં રોક ટોક વગર લોકો ગંદકીના ઢગ ખડકી રહ્યા હોવાની બૂમ ઊઠી છે મોડાસા શહેરમાં વસતા ખેડૂતો અને ડુગરવાળાના ખેડૂતો ની જમીનોમાં અવર-જવર કરવા માટેના રસ્તા પાસે ગંદકીના ઢગ ખળકાતા ખેડૂતોને અવરજવર કરવામાં મોટી મુશ્કેલી ઊભી થઈ છે મોડાસા શહેરના ડુંગરવાળા રોડ ઉપર આવેલા રેલવે ક્રોસિંગ પાસેથી પસાર થતી રેલ્વે લાઈન નજીક આવેલી સરકારી જમીનમાં છેલ્લા કેટલાય સમયથી રોકટોક વગર લોકો બેફામ ગંદકી ના ઢગ ખડકી રહ્યા હોવાની બૂમ ઊઠી છે સરકારી જમીન પાસેથી પસાર થતા રસ્તાની નજીક ગંદકી ફેલાતી હોવાથી ખેડૂતો અને ખેત મજૂરોને આસપાસની જમીનોમાં કામ કરવું પણ મુશ્કેલ બન્યું છે ડુગરવાળાના ખેડૂતોએ જણાવ્યું હતું કે ગંદકીના કારણે વાતાવરણમાં દુર્ગંધ ફેલાતા મોડાસા શહેરની સીમ માં આવેલી ખેડૂતો ને જમીન મા અવરજવર કરવી પણ મુશ્કેલ બન્યું છે ઉપરોક્ત ગંદકીના પ્રશ્ન જે જગ્યાએ ગંદકીના ઢગ ખડકાયા છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

રાજકારણ:કોંગ્રેસ અને શરદ પવાર એકસાથે? રાજકીય ચેસબોર્ડ પર નવી હલચલ

મુંબઈ મહાપાલિકાની ચૂંટણી સ્વબળે લડવાનો નિર્ણય જાહેર કરનાર કોંગ્રેસ હવે તેના જૂના સાથી શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને (શરદચંદ્ર પવાર જૂથ) સાથે લેવા પ્રયત્નશીલ જોવા મળી રહી છે. કોંગ્રેસ સાંસદ તથા મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષા વર્ષા ગાયકવાડે બુધવારે શરદ પવાર સાથે બેઠક કરી અને મહાપાલિકા ચૂંટણી એકસાથે લડવાનો પ્રસ્તાવ મૂક્યો. ચર્ચા અત્યંત સકારાત્મક રહી, એમ તેમણે જાહેર કરતાં રાજકીય ચર્ચાઓને વધુ ગતિ મળી છે, શું શરદ પવાર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે? એવો સવાલ થઈ રહ્યો છે. કોંગ્રેસે ગયા અઠવાડિયે મહાપાલિકા ચૂંટણી સ્વબળે લડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ હવે પક્ષ પોતાના ગઠબંધનના વિકલ્પો ગોઠવી રહ્યો છે. ગાયકવાડે જણાવ્યું કે, અગાઉ પણ મુંબઈમાં કોંગ્રેસ–રાષ્ટ્રવાદી ગઠબંધન સફળ રહ્યું છે, અને લોકશાહી, બંધારણવાદી મૂલ્યો ધરાવતા બંને પક્ષોએ એકસાથે ચૂંટણી લડવી જોઈએ. ટ્રાફિક, ખરાબ રસ્તાઓ, પાણી, પ્રદૂષણ અને મહાપાલિકામાંના ભ્રષ્ટાચાર જેવા નાગરિકોના મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહેવા જોઈએ, નહીં કે ધર્મ, જાતિ, ભાષાના વાદ. ગાયકવાડે વધુમાં જણાવ્યું કે, અમારી પવાર સાહેબ સાથે ખૂબ સારી ચર્ચા થઈ છે. આવતા અઠવાડિયે બીજી મુલાકાત થશે. મુંબઈની એકતા જળવાય અને સમતા, બંધુતા, ન્યાયસ્વાતંત્ર્યના બંધારણીય મૂલ્યો અખંડ રહે એ જ આપણા સહકારનો આધાર છે. તે દરમ્યાન ગાયકવાડે મનસે સાથે ગઠબંધનના પ્રશ્નને ફરીથી નકારી કાઢ્યું. તાજેતરમાં ઠાકરે ભાઈઓ (ઉદ્ધવ ઠાકરે–રાજ ઠાકરે) વચ્ચે થયેલા રાજકીય સાનિધ્યને તેઓએ શુભેચ્છા આપી, પરંતુ સ્પષ્ટ કર્યું કે, દબાણની રાજનીતિ અથવા કાયદો હાથમાં લેતી રાજકીય શક્તિઓ સાથે કોંગ્રેસ જઈ શકે એવું નથી.આ સમગ્ર રાજકીય હલચલ વચ્ચે રાજકીય વિશ્લેષકો માને છે કે, જો કોંગ્રેસ અને શરદ પવાર જૂથ એક થાય તો મુંબઈ મહાપાલિકા ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને મોટો રાજકીય પડકાર ઊભો થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

ફરિયાદ:પતિના આડા સંબંધો અને દીકરીના જન્મના ત્રાસ બદલ હિંમતનગરની બે પરિણીતાઓની ફરિયાદ

પતિના આડા સંબંધો અને દીકરીના જન્મના ત્રાસ બદલ હિંમતનગરની બે પરિણીતા ત્રાસી ગઈ હતી. પતિ સહિત સાસુ-સસરા અને દિયર સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ઘરેલુ હિંસાના ગુના નોંધાયા હતા. 1. દીકરીનો જન્મ અને આડા સંબંધોનાસીરાબાનુ અયુબખાન પઠાણના લગ્ન ઇમરાનખાન શરીફખાન પઠાણ સાથે 31/05/11 ના રોજ થયા હતા. લગ્ન બાદ પતિએ ઘરની બહાર નીકળવાની મનાઈ કરી હતી, જ્યારે સાસુ-સસરાએ દહેજના મહેણાં માર્યા હતા (તુ તારા બાપના ઘેરથી કંઈ લાવી નથી). તા.13/02/16 ના રોજ દીકરીનો જન્મ થતાં પતિ અને સાસુ-સસરાએ અમારે તો દીકરો જોઈતો હતો કહી મહેણાં માર્યા હતા. બાદમાં તારી દીકરીના ખર્ચા લઈ આવ કહી મારઝૂડ પણ કરી. દીકરાનો જન્મ થયા પછી પણ પતિ ઇમરાનખાનને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો હતા જેના કારણે તેઓ ફોનમાં વ્યસ્ત રહેતા. તા.15/11/24 ના રોજ આ બાબતે પૂછતા પતિએ ઝઘડો કરી મારઝૂડ કરી. સમાધાન ન થતા નાસીરાબેને પતિ ઇમરાનખાન, સાસુ જુલેખાબાનુ, સસરા શરીફખાન સુલતાનખાન પઠાણ અને દીયર શાહરૂકખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. 2. સહકર્મચારી સાથેના આડા સંબંધો અને ઘરમાંથી હકાલપટ્ટીદર્શનાબેન પરમારના લગ્ન તા.19/02/17 ના રોજ કુણાલકુમાર જગદીશભાઈ શાહ (પરમાર) સાથે થયા હતા. બંને PHC સેન્ટરમાં નોકરી કરતા હતા. લગ્નના લગભગ ચાર વર્ષ પછી પતિ કુણાલકુમારને સાથે નોકરી કરતી અન્ય છોકરીઓ સાથે આડા સંબંધો હોવાની ખબર પડતા ઝઘડો થયો હતો, જેના પગલે ગયા વર્ષે રૂ.300 ના સ્ટેમ્પ પેપર પર સમાધાન કરાર પણ થયો હતો. ​​​​​​​દર્શનાબેનને ફરી આડા સંબંધોની જાણ થતા તેમણે પતિને જિલ્લા ફેરબદલી માટે અરજી કરવા કહ્યું. પતિએ ગાડીમાં ઝઘડો કરી ઘર છોડી દીધું હતું. સાસુ-સસરાએ પોલીસને જાણ કરવાની ના પાડી હતી. તા.2/08/25 ના રોજ પતિએ ઝઘડો કરી દર્શનાબેનને પહેર્યા કપડે કાઢી મૂક્યા હતા. સમાધાન ન થતા દર્શનાબેને પતિ કુણાલકુમાર, સાસુ સરોજબેન અને સસરા જગદીશભાઈ રેવાભાઇ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

પ્રાકૃતિક ખેતી:જમીન રાસાયણિક ખાતરના કારણે કઠણ અને પાણી શોષવાની ક્ષમતા ઘટતા પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા

ઇડર તાલુકાના ચિત્રોડી ગામના ખેડૂતની જમીન રાસાયણીક ખાતરના કારણે કઠણ અને પાણી શોષવાની ક્ષમતા ઘટતા પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હતાં. જેમાંથી તેઓ હાલમાં લાખોની આવક મેળવી રહ્યાં છે. ઇડર તાલુકાના ચિત્રોડી ગામના ખેડૂત હિતેશભાઇ કરશનભાઇ ચૌધરીને પ્રાકૃતિક ખેતી અંગેની પૂરતી માહિતી ન હોવા છતાં પણ તેમના પિતા ગ્રામસેવકની ફરજમાંથી નિવૃત્ત થતાં ઓછી માહિતી હોવા છતાં તેમણે 2008થી પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી અને ધીરે ધીરે તેમાં માહિતી મેળવીને તથા પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખાતર દ્વારા કરવામાં આવતી ખેતીના કારણે શું ફાયદા અને ગેરફાયદા છે તેની સમજ મેળવ્યા બાદ તેઓને લાગ્યું કે, રાસાયણિક ખાતરોના કારણે તેમની જમીન કઠણ થઇ રહી છે અને પાણી શોષવાની ક્ષમતા પણ ઘટી રહી છે. આથી તેઓએ પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો. જે હાલમાં તેમને લાભકારી સાબિત થઇ રહ્યો છે. પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાય આધારિત જીવામૃત અને ઘનજીવામૃતથી ફળદ્રુપ અને ઉપજાઉ બનાવવાનું શરુ કર્યુ હતું. શરુઆતમાં પોતાના પૂરતી શાકભાજી અને અન્ય પાકનું વાવેતર કર્યું. ત્યારબાદ આત્મા પ્રોજેક્ટ યોજનાના સંપર્કમાં આવ્યા બાદ એ યોજના અંતર્ગત વડતાલ, અમદાવાદ અને ગાંધીનગર ખાતે તાલીમ લીધી હતી. વર્ષ 2019-2020માં પ્રાકૃતિક ખેતી વિષે ખુબ પ્રચાર-પ્રસાર થયો અને સપૂર્ણ માહિતી મળી હતી . દેશી ગાય આધારિત જીવામૃત અને ઘનજીવામૃત તેમજ રોગ-જીવાત માટે બ્રમાસ્ત્ર , નીમાસ્ત્ર , અગ્નિઅસ્ત્ર તેમજ દશપર્ણી અર્ક અને ફૂગનાશક તરીકે દેશી ગાયની છાશનો ઉપયોગ શરુ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો આરોપી ઝડપાયો:ગોઈંમાનો તડીપાર ગુનેગાર વલસાડમાં ઘૂસ્યો, LCB એ પકડ્યો

વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જિલ્લામાંથી તડીપાર કરાયેલા નામચીન ગુનેગારને પારડીના વેલપરવા વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો. ​એલસીબીના દશરથ ભરવાડ અને વિવેક ગઢવીએ બાતમીના આધારે, સુજીત ઉર્ફે સુજીયો હર્ષદભાઈ ધોડીયા પટેલ (ઉં.વ. 30, મૂળ રહે. ગોઈમાં, પારડી) ને પારડીના વેલપરવા પંચાયત નજીકથી ઝડપી લીધો હતો. આરોપી સુજીતને સબ. ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પારડીના તડીપાર હુકમનો ભંગ કરીને જિલ્લામાં પ્રવેશ કરવા બદલ પકડવામાં આવ્યો હતો.​ આરોપી સુજીતનો ગુનાહિત ઈતિહાસ લાંબો છે, જેમાં પ્રોહિબિશન એક્ટ હેઠળના અનેક ગુનાઓ તેમજ ઈ.પી.કો. કલમ 307 (હત્યાનો પ્રયાસ), 395 (લૂંટ) અને 397 (હથિયાર સાથે લૂંટ) જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે.​ પકડાયેલા આરોપી સામે પારડી પોલીસ સ્ટેશનમાં જી.પી. એક્ટ કલમ 142હેઠળ ગુનો નોંધીને, તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પારડી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

ઘરેલું હિંસાના એક કિસ્સાએ લીધો ‎કરુણ વળાંક:ઓરવાડમાં સાસરે જઇ પત્ની સાથે ઝઘડો કર્યો, પોલીસથી બચવા બિલ્ડીંગથી કૂદી પડ્યો

પારડીના ઓરવાડ વિસ્તારમાં લગ્ન બાદ ઘરેલું હિંસાના એક કિસ્સાએ કરુણ વળાંક લીધો છે. ચાંદની (ઉં.વ. 26) નામની મહિલાએ તેના પતિ રાહુલ યાદવ (રહે. જાગૃતિ બિલ્ડિંગ) વિરુદ્ધ સતત મારઝૂડ અને દારૂ પીને ઝઘડો કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ​ચાંદનીના જણાવ્યા અનુસાર, લવ મેરેજ બાદ રાહુલ દારૂ પીને આવતો અને નાની-નાની વાતોમાં ઝઘડો કરી માર મારતો હતો. રાહુલના ત્રાસથી કંટાળીને ચાંદની છૂટાછેડા માટે અરજી કર્યા બાદ તેના માતા-પિતાના ઘરે રહેવા આવી હતી. તેમ છતાં રાહુલ ત્યાં પણ આવીને ઝઘડો કરતો અને ચાંદનીના માતા-પિતા સાથે પણ મારામારી કરતો હતો. 16 નવેમ્બરે રાત્રે ફરી રાહુલ ચાંદનીના ઘરે ઝઘડો કરવા પહોંચ્યો હતો. ચાંદનીએ 112 નંબર પર પોલીસને બોલાવતા, પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ચાંદનીની મદદથી રાહુલને તેના ફ્લેટમાંથી શોધી કાઢ્યો, જ્યારે પોલીસ રાહુલને પકડીને નીચે લાવી રહી હતી ત્યારે રાહુલની માતા સુનિતાબેન અને બહેન પૂજાબેને ચાંદની સાથે ગાળાગાળી કરી ઝપાઝપી શરૂ કરી દીધી હતી. આ તકનો લાભ લઈને રાહુલ પોલીસના હાથમાંથી છૂટીને નાસી ગયો હતો. ​થોડીવાર બાદ, પાછળથી આવજા આવતા પોલીસને જાણ થઈ કે રાહુલે બિલ્ડિંગ પરથી કૂદકો મારી દીધો છે. ઈજાગ્રસ્ત રાહુલને હોસ્પિટલ ખસેડ્યો હતો,જ્યાં હાલત નાજુક છે. પોલીસે જાણવા જોગ નોંધી હતી. ચાંદનીએ તેના પતિ રાહુલ, સાસુ સુનિતાબેન અને નણંદ પૂજાબેન વિરુદ્ધ માર મારવા અને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવી છે. વધુ તપાસ પારડી પોલીસ કરી રહી છે. દારૂના નશામાં વારંવાર પત્ની સાથે ઝઘડો કરતા કંટાળીને તે પિયરે આવી ગઇ હતી. અંતે મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

મેરેથોનનું આયોજન‎:સ્વસ્થ વલસાડના સૂત્ર સાથે 21 ડિસેમ્બરે મેરેથોનનું મેગા આયોજન

વલસાડમાં આરોગ્ય અને ફિટનેસની નવી ઓળખ ઊભી કરનાર VRG – Valsad racers group અને રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા 11મી રોટરી વલસાડ સિટી મેરેથોનનું આયોજન થઈ રહ્યું છે. છેલ્લા દાયકામાં VRGએ સમગ્ર જિલ્લામાં એક સ્વાસ્થ્ય ક્રાંતિનું વાતાવરણ સર્જ્યું છે. દરેક ઉંમર અને દરેક સમાજના લોકોનો એકમાત્ર ધ્યેય છે સ્વસ્થ વલસાડ, ફિટ વલસાડ.આ વર્ષે મેરેથોન 21 ડિસેમ્બર 2025ના રોજ યોજાશે, જેમાં 5 કિ.મી. ફન રન, 10 કિ.મી., 21 કિ.મી. હાફ મેરેથોન અને 30 કિ.મી. એન્ડ્યુરન્સ રન કેટેગરીઓનો સમાવેશ કરાયો છે. વલસાડ રેસર્સ ગૃપના સ્થાપક શ્રી ડો. કલ્પેશભાઈ જોશીએ જણાવ્યું કે, આ મેરેથોનની શરૂઆત શાંતિ રિસોર્ટ, તિથલથી થશે. આ મેરેથોન માત્ર એક રેસ નથી, આ તમારા આરોગ્યનું વચન છે, આપણા શહેરની એનર્જી છે અને એક સ્વસ્થ જીવનશૈલીનું પ્રતિક છે. પાછલા ૧૦ વર્ષમાં હજારો લોકો નિયમિત દોડથી જીવનમાં મોટા પોઝિટિવ ફેરફારો લાવી ચૂક્યા છે, સ્વસ્થતા માટે, ઉત્સાહ માટે અને એકતા માટે દોડવુ જરૂરી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ ભુપેન્દ્ર પટેલ પણ લોકોના સ્વાસ્થ્ય મુદ્દે ચિંતિત છે.જેથી વલસાડ મેરેથોન 21 ડિસેમ્બર 2025ના રોજ યોજાશે. જેમાં જોડાવવા રજીસ્ટ્રેશન લિંક https://konfhub.com/ valsad-city-marathon -25 છે. જીવન શૈલીમાં રોજ નિયમિત રીતે દોડવાથી અનેક બદલાવ આવતા હોય છે. તે સાથે સ્વસ્થ શરીરને લઇ મેરેથનનું આયોજન કરાયું છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

વાહનચાલકો થયા પરેશાન:વાપી- પારડી હાઈવે બ્રિજ નીચે બેસુમાર ધૂળની ડમરીથી લોકો ત્રાહિમામ

વાપી અને પારડી હાઈવે બ્રિજ નીચે માર્ગ બરાબર ન બનાવતાં બેસુમાર ધૂળ ઉડી રહી છે.જેને લઈ દ્વિચક્રીય વાહન ચાલકો અને ત્યાંથી પસાર થતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.રાજ્ય સરકારે દિવાળી પહેલા બધા માર્ગો બનાવી દેવામાં આવશે તેવું જણાવ્યું હતું.પરંતુ દિવાળી પછી 15 દિવસ પછી પણ અમુક માર્ગો બનાવવામાં આવ્યા નથી તેનાં કારણે લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

ઠંડીનો ચમકારો:વલસાડ જિલ્લામાં વહેલી સવારે 19 ડિગ્રીમાં લોકો થથર્યા

વલસાડ જિલ્લામાં બુધવારે વહેલી સવારથી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.રાજ્ય હવામાન વિભાગ અનુસાર, જિલ્લામાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું,જ્યારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાનો અંદાજ છે.વાતાવરણમાં શીતળતા વ્યાપી હતી. ઠંડીની શરૂઆત થતાં જ વાતાવરણમાં શીતળતા વ્યાપી ગઈ હતી. સવારના સમયગાળા દરમિયાન લોકો સ્વેટર, જેકેટ અને મફલર જેવા ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળતા જોવા મળ્યા હતા. વલસાડના પારનેરા ડુંગર સહિત ધરમપુર અને કપરાડાના ડુંગરાળ વિસ્તારોમાં ઠંડા પવનોનો અનુભવ થયો હતો. મોર્નિંગ વૉક અને કસરત માટે નીકળતા લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે. ઠંડી વધતા ખેડૂતો રવિ પાક અને આંબાની સંભાળમાં વ્યસ્ત બન્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

નવી પેઢીમાં જાગૃતિનો પ્રયાસ:વલસાડમાં ગાંધીવાદીઓ દ્વારા અંગ્રેજોએ પ્રતિબંધિત કરેલુ ધરાસણાનો કાળો કેર પુસ્તક છપાવી વિતરણ કર્યુ

રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીજીના પ્રથમ અને ઐતિહાસિક અહિંસક ધરાસણા મીઠા સત્યાગ્રહમાં સત્યાગ્રહીઓએ સહન કરવી પડેલી યાતનાઓ અને અમાનુષી મારનું વર્ણન કરતું અને તે સમયે પ્રસિધ્ધ થયેલુ ‘‘ધરાસણાનો કાળો કેર’’ પુસ્તક તે સમયની અંગ્રેજ સરકારે જપ્ત કરી તેના પર પ્રતિબંધ મુક્યો હતો. આ અપ્રાપ્ય પુસ્તક વર્ષ 2003માં ગાંધીપ્રેમીઓએ શોધી કાઢી તે પુસ્તક છપાવ્યુ છે.જેનું ગાંધીપ્રેમીઓમાં વિતરણ કરવામાં આવ્યું છે. આ પુસ્તકની લોકપ્રિયતા વધતા ગાંધી પ્રેમીઓમાં પુસ્તકની માંગ વધી હતી પરંતુ તેની નકલો પુરી થતાં ગાંધીપ્રેમી અને વલસાડ અતુલના વિમળાબેન લાલભાઈએ પોતાના હસ્તકના શ્રીકસ્તુરભાઈ લાલભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી વલસાડ ગાંધી વિચાર મંચ મારફત આ પુસ્તર છપાવી સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની હાઈસ્કૂલો, આશ્રમશાળાઓ તથા પુસ્તકાલયોમાં પહોંચતુ કરવામાં આવ્યુ હતું. જેના દ્વારા વિદ્યાર્થીઓમાં અને સમાજમાં આઝાદી લડત સમયે દેશપ્રેમીઓએ અંગ્રજોનો કેવો અત્યાચાર સહન કર્યો હતો તેની સમજણ કેળવાઈ, દેશભક્તિની ભાવના બળવત્તર બને તે હેતુથી પુસ્તકનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. જેના ભાગરૂપે વલસાડ ગાંધી વિચાર મંચના મંત્રી ડૉ.રાધિકાબેનના હસ્તે વ્યારાના માજી સાંસદ અમરસિંહ ઝેડ ચૌધરી અને ગણદેવી નજીક આવેલા અજરાઈ આશ્રમના ભગુભાઈ દરજીને 300 પુસ્તક અર્પણ કરાયા હતા. આ પ્રસંગે વલસાડ ગાંધી વિચાર મંચના સ્થાપક નટુભાઈ દેસાઈ જણાવ્યું કે, અમરસિંહભાઈ દ્વારા તાપી અને સુરત જિલ્લામાં તેમજ ભગુભાઈ દરજી દ્વારા નવસારી અને વલસાડ જિલ્લાની છાત્રાલયો અને લાઈબ્રેરીઓમાં આ પુસ્તક પહોંચતુ કરવામાં આવશે. જેથી લોકો આ પુસ્તકને વાંચી શકે અને દેશને મળેલી મહામુલી આઝાદી અને ધરાસણા સત્યાગ્રહનું મુલ્ય સમજી શકશે તેવી આશા છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

અનાવિલ લેખકને 30મો એવોર્ડ પ્રાપ્ત થયો‎:તીઘરાના કવિ-લેખક દીપક દેસાઈને મુંબઇમાં રાષ્ટ્રીય એવોર્ડ એનાયત

મુંબઈ અંધેરી ઇસ્ટ ખાતે આવેલ હોટલ રેડિશનમાં થીમ પ્રોડક્શન તેમજ ચેરમેન સંજીવ કુમાર દ્વારા આયોજિત રાષ્ટ્રીય એચીવર્સ એવોર્ડ સમારોહનું આયોજન કરાયું હતું. આ એવોર્ડ સમારોહમાં પારડીના તીઘરા ગામના સાહિત્યકાર દીપક દેસાઈને બેસ્ટ રાઈટર-પોએટ-લિરિક્સ- પ્રોડ્યુસર -એક્ટર તરીકેનો રાષ્ટ્રીય એચીવર્સ એવોર્ડ મહારાષ્ટ્રના રાજ્યમંત્રી શ્રીપદ નાયક, નિર્માતા નિર્દેશક મેહુલ કુમાર, નિર્માતા નિર્દેશક કીર્તિ કુમાર (ગોવિંદા ના ભાઈ), એક્શન ડાયરેક્ટર ટીનુ વર્મા ના હસ્તે એનાયત થયો હતો. આ સાથે દીપક દેસાઈને 30મોં એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે ફિલ્મ તેમજ ટીવી ક્ષેત્રની અનેક નામી હસ્તીઓ,મોડેલ્સ, બિઝનેસમેન તેમજ વિવિધ ક્ષેત્રની નામાંકિત હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે દીપક દેસાઈએ પોતાના પુસ્તક યાદો કે ગુબ્બારે તેમજ યુગપુરુષ નરેન્દ્ર મોદી રાજ્યમંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભવોને ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી. મોદીજી વિશેનું પુસ્તક જોઈને રાજ્યમંત્રી એ ખુબજ પ્રસન્ન થઇ દીપક દેસાઈની પ્રસન્નતા કરી હતી. આ પ્રસંગે દીપક દેસાઈના પ્રખ્યાત પુસ્તક યાદો કે ગુબ્બારેમાં લેખિત એક ગીત જય જય મહારાષ્ટ્રનું હિન્દી આલ્બમ મંત્રી તથા ઉપસ્થિત મહાનુભવોના હસ્તેચેનલ દીપક દેસાઈ દીપક'' પર લોન્ચ કરાઈ હતી. આ ગીતનું આલ્બમના પ્રોડ્યુસર-ગીતકાર-એક્ટર દીપક દેસાઈ સ્વયં છે. તેમજ ડાયરેક્શન ડો. ક્રિષ્ના ચૌહાણ, સંગીતકાર લિજેન્ડરી દિલીપ સેન, ગાયક શબાબ સાબરી, અભિનય પ્રવીણ કુમાર તેમજ દીપક દેસાઈનો છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

ભાસ્કર વિશેષ:અંકલાસ પ્રા. શાળાના શિક્ષકોએ જિલ્લાનું ભ્રમણ ન કરેલા 42 વિદ્યાર્થીઓને દેશનું ભ્રમણ કરાવ્યું

ઉમરગામ તાલુકા ના અંકલાસ ગામ ખાતે શિક્ષણ આપતી પ્રાથમિક શાળા ના આચાર્ય નરેન્દ્રભાઈ પટેલ અને સ્ટાફ શિક્ષકો એ દાતા અને સહ ફાળા થકી 42 વિદ્યાર્થીઓને દિલ્હી સુઘીનો પ્રવાસ કરાવતા વિદ્યાર્થીઓ સાથે વાલીઓમાં હર્ષની લાગણી સાથે શિક્ષકોની ઉદાર નીતિની ભારોભાર પ્રશંસા થઈ રહી છે. ઉમરગામ તાલુકાના આંતરિયાળ વિસ્તામાં આદિવાસી વસ્તી વસ્તી ધરાવતા અંકલાસ ગામે મુખ્ય પ્રાથમિક શાળા આવેલી છે.જે શાળા ના આચાર્ય નરેન્દ્ર પટેલ,કન્વીનર શિક્ષકો પિનલબેન સોલંકી ,જયંતિભાઈ પટેલે વલસાડ જિલ્લા પણ નાં જોયા એવા વિદ્યાર્થીઓને દિલ્હી સુધીનાં દર્શન કરાવવા માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કર્યું હતું. શૈક્ષણિક પ્રવાસ દરમ્યાન થનારા રૂ.5 લાખને પહોંચી વળવા સ્ટાફ દ્વારા ફાળો એકત્રિત કરી, સરપંચ અને દાતા ના સહયોગ થી રૂ.3500 લાખ ભેગા કર્યા હતા. શૈક્ષણિક પ્રવાસમાં લકઝરી બસમાં પ્રાથમિક શાળાના 42 વિદ્યાર્થીઓ અને શિક્ષકો 10 નવેમ્બર રવાના થઈ શામળાજી, શ્રીનાથજી, ચિત્તોડગઢ , ખાટુશ્યામ , દિલ્હી , ગોકુળ, મથુરા, વૃંદાવન ,આગ્રા તાજમહલ , ફતેપુર સિક્રી , બુલંદ દરવાજા, અંબાજી, કોટેશ્વર, ખેડભ્રહ્મા વગેરે સ્થળો એ દર્શન કરી 17 નવેમ્બરના રોજ પરત ફર્યા હતા. શૈક્ષણિક પ્રવાસ મોટા ભાગના વિદ્યાર્થીઓનો જીવનનો આ દૂર સુધીનો પ્રથમ પ્રવાસ રહ્યો હતો. શૈક્ષણિક પ્રવાસમાં મદદ રૂપ બનનારા દાતાઓનો બાળકો, વાલીઓ અને શાળાના શિક્ષકએ અભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

10 કરોડના રસ્તા માટે લાઇનદોરીની પ્રક્રિયા શરૂ:વલસાડ હાઇવેથી મોગરાવાડી, અબ્રામા થઇ કૈલાસરોડ સુધી 4 કિમીના રસ્તાથી 35 હજાર લોકોને કનેક્ટિવિટી

વલસાડ પાલિકાના મોગરાવાડી, અબ્રામાના નોકરિયાતો, વિદ્યાર્થી ઓ,ગેસ સિલિન્ડરના વાહનો,દૂધ વિક્રેતાના વાહનો અને 35 હજાર લોકોને ઉપયોગી વર્ષોથી સિંગલ અને સાંકડા 4 કિમીના રોડને પહોળો કરવા અને સ્ટોર્મ વોટર ડ્રેઇન કલવર્ટ બોક્ષ અને જોઇન્ટ ગટરોના કામ માટે પાલિકાના ભાજપ શાસકો,મોગરાવાડી અબ્રામાના સ્થાનિક સભ્યોની રજૂઆતોના પગલે દોઢ વર્ષ અગાઉ નાણામંત્રી કનુભાઇ દેસાઇના સઘન પ્રયાસોથી જીયુડીએમ દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ સડક હેઠળ રૂ.10.50 કરોડની માતબર ગ્રાન્ટ મંજૂરી મળી હતી. ત્યારબાદ આ કામ હવે શરૂ કરવા ઇજનેરોની ટીમે લાઇનદોરીની કાર્યવાહી શરૂ કરતાં 35 હજાર લોકોની આતુરતાનો અંત આવ્યો છે. રોડ બનાવવા ધારાસભ્ય ભરતભાઇ પટેલે ભલામણપત્ર આપ્યો હતો.લાબા સમયની કવાયત બાદ 19 નવેમ્બર 2025ના રોજ બુધવારે લાઇનદારો માટે નગરપાલિકાના ચીફ ઇજનેર નગમા મોદી,ટીપી ઇજનેર અનુસૂયાબેન, જૂ.ઇજનેર પૃથ્વીસહિત ઇજનેરોની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. જ્યાં વોર્ડ નં.3,4ના ભાજપના સભ્યો,માજી વિપક્ષ નેતા ગીરીશ દેસાઇ,ભાજપના કાર્યકરો સ્થળ પર ઉપસ્થિત રહી લાઇનદોરીની પ્રક્રિયાનો તાગ લીધો હતો. 2021-22માં સભ્યોએ સંઘર્ષ કર્યો હતો આ રોડ હાઇવે પર ગીરીરાજ હોટલની બાજૂમાંથી મોગરાવાડી અને અબ્રામાથી એન્કર ખેરગામ સ્ટેટ રોડને મળતો હોય પારડીસાંઢપોરના લોકો માટે પણ ખુબ મહત્વનો છે. આ રસ્તાને બનાવવા માટે 2021માં પાલિકાના ભાજપના તત્કાલિન ભાજપના સભ્યો,માજી વિપક્ષ નેતા ગીરીશ દેસાઇ, મોગરાવાડી અબ્રામાના માજી સભ્યો ઝાકીર પઠાણ,સંજય ચૌહાણ મેનેજેર ,પારડીસાંઢપોર સંરપંચ ભોલા પટેલે નાણામંત્રી કનુભાઇ દેસાઇને રજૂઆતો કરી હતી. જે તે સમયે 2021-22માં ભાજપ શાસકો અ્ને વિપક્ષની પણ રજૂઆતોને ધ્યાને લઇ રોડ અંગે પાલિકાની બોર્ડમાં ઠરાવ થયો હતો. ગટર ,ના‌‌‌ળા સાથે રસ્તો ઉપયોગી થશે આ રોડ જ્યારે મંજૂર કરવામાં આવ્યું હતું ત્યારે તેમાં વિવિધ કામગીરીનો ઉલ્લેખ કરાયો હતો. જેમાં ભંડારવાસ જોઇન્ટ કાકરશેરી ટુ અબ્રામા ઝોન ઓફિસ ગટર અને વાલિયા ફ‌ળિયા,હિન્દી શાળા, પાણીની ટાંકી થઇ ખેરગામ જોઇન્ટ રોડ ,લશ્કરી રોડ વિગેરે વિસ્તારોમાંથી પસાર થતાં આ રોડ માટે રૂ.2.97 કરોડનું પ્રાવધાન હતું. ગટર માટે 5.03 કરોડ અને નાયરા પેટ્રોલ પંપ સામે રોડ પર ગટરકલવર્ટ બોક્ષ અને ગીરીરાજ હોટલ સામે રોડ પર કલવર્ટ બોક્ષ બાંધકામ માટે 6.78 લાખના પ્લાનિંગ કરાયુ હતું.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

7 માસમાં પોપડા પડવા માંડતા કાર્યવાહીની માગ:રાખોડિયા આંગણવાડીની ઘટનાનો મુદ્દો CMના દરબારમાં

વલસાડના રાખોડીયા તળાવ વિસ્તારની આંગણવાડી જે 7 મહિના જ નિર્માણ પામેલ હતી તેનો પોપડો તૂટી પડતા સદભાગ્યે કોઈ બાળકો નાની મોટી ઇજા થયેલ એના લીધે વાલીઓમાં ઉગ્ર રોષની લાગણીઓ પ્રવર્તી રહી છે.આ બાબતે ડૉ.નિરવ પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી છે. ડો. પટેલે જણાવ્યું હતું કે,સામાજિક આગેવાન તરીકે સરકારી શાળાઓ અને આંગણવાડીઓની દયનીય હાલતો વિશે વારંવાર રજૂઆત કરી પરંતુ નફ્ફટ તંત્ર ધ્યાને લેતું જ નથી. અમારો અવાજ દબાવવા જુઠા કેસોમાં ફસાવી દેવામાં આવે છે. હાલમાં રાનકુવામાં બનેલી નવી શાળામાં સ્લેબ નીચે નમી ગયેલો હોવાની જાણકારી ગામલોકોએ આપી.આવી જ રીતે વલસાડ નવસારી અને અન્ય આદિવાસી જિલ્લાઓમાં મોટાભાગની આંગણવાડીઓ ભયજનક પરિસ્થિતિઓમાં છે અથવા બાળકો બિલ્ડિંગના અભાવે ડેરી,આસપડોસના ઘરોમાં અથવા ખુલ્લામાં ભણવા મજબૂર બનતા હોય છે અને કેટલીય આંગણવાડીઓ અધક્ચરી હાલતમાં બનીને એનું કામ અટકેલું પડ્યું હોય છે . ભ્રષ્ટાચારીઓને કાયદાકાનૂનનો કોઈ ડર રહ્યો જ નથી. જેના લીધે આંગણવાડી અને કેટલીક શાળાઓમમાં ભણતા બાળકોના જીવ જોખમાઇ રહ્યા છે. રાજસ્થાન જેવી દુર્ઘટના ગુજરાતમાં બને તે પહેલા તકેદારીના પગલા લેવામાં આવે એવી માગ કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

માનવ અધિકાર દિવસ હેઠળ અભિયાન:સરપંચો- તલાટીઓને ગામોમાં જાહેર શૌચાલય પર રંગ રોગાન કરવા સૂચન

દર વર્ષે તા.19 નવેમ્બરના રોજ વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કરવામાં આવે છે.ચાલુ વર્ષે વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી ‘‘અમારૂ શૌચાલય, અમારૂ ભવિષ્યના સ્લોગન સાથે તા. 19 નવેમ્બર 2025 થીતા.10 ડિસેમ્બર 2025 માનવ અધિકાર દિવસ સુધી કરવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ઝુંબેશમાં અમારૂ શૌચાલય, અમારુ ભવિષ્ય અભિયાન દ્વારા જિલ્લા અને તાલુકાઓના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં શૌચાલયોની કાર્યક્ષમતા વધારવી, સાફસફાઇ અને જન ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરવા તા.19 નવે.ના વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે અમારૂ શૌચાલય અમારૂ ભવિષ્ય થીમ દ્વારા વલસાડ તાલુકા પંચાયત કચેરી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરીના સ્વચ્છ ભારત મિશનના હ્યુમન રિસોર્સના કન્સલ્ટન્ટ ચેતનભાઈ અને લિક્વીટ વેસ્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ દિવ્યેશભાઈ જણાવ્યું કે,શૌચાલયનો ઉપયોગ એ માત્ર આદત નથી પણ માનવ ગૌરવ અને સુરક્ષાની નિશાની છે. વધુમાં આ દિવસની ઉજવણી કેમ કરવામાં આવી રહી છે તે અંગે પણ સમજણ આપવામાં આવી હતી.આ પ્રસંગે વલસાડના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અંકિતભાઈ તેમજ વલસાડ તાલુકાના દરેક ગામોના સરપંચ અને તલાટીઓ હાજર રહ્યા હતા. અમારૂ શૌચાલય, અમારૂ ભવિષ્ય થીમ દ્વારા તમામતાલુકાઓમાં વિશ્વ શૌચાલય દિવસનો લોંચિગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ ગામના સરપંચો અને તલાટીઓને તા.19 નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસથી તા.10 ડિસે. માનવ અધિકાર દિવસ સુધી યોજાનાર આ અભિયાન અંગે માર્ગદર્શન આપતા ગામે ગામ વ્યક્તિગત અને સામુહિક શૌચાલય પર રંગ રોગાન દ્વારા સુશોભિત પેન્ટિંગ કરવામાં સૂચન કર્યું હતું. આમ વલસાડ જિલ્લામાં 10 ડિસેમ્બર સુધી માનવ અધિકારી દિવસ ઉજવણી અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર અને શૌચાલય પર રંગ રોગાન અને સજાવટનો ધમધમાટ જોવા મળશે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

ધારાસભ્ય ચૈતર વસાવાનો હુંકાર‎:આજે નહીં જાગીશું તો આવનાર દિવસોમાં આદિવાસી કોણ હતો એ લાઇબ્રેરી, મ્યુઝિયમમાં જોવા મળશે : વસાવા

આજે નહીં જાગીશું તો આવનારા દિવસોમાં આદિવાસી કોણ હતો એ લાઇબ્રેરી, મ્યુઝિયમમાં જોવા મળશે, આપણે આદિવાસી હતા એ સાબિત કરવા પુરાવા આપવા પડશે જેથી આપણી સંસ્કૃતિ, અસ્મિતાનું જતન કરવા આવનારા દિવસોમાં બધાએ જાગૃત થવું પડશે એવું આહવાન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નાની વહિયાળમાં યોજાયેલી ગુજરાત જોડો અભિયાન અંતર્ગત યોજાયેલી આમ આદમી પાર્ટીની જન સભામાં કર્યુ હતું. નાની વહિયાળમાં આપની સભામાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ક્યાં સુધી આંદોલન કરીશું, ક્યાં સુધી આવેદન આપવાના, ક્યાં સુધી ધરણા કરીશું, ક્યાં સુધી લડેગે જીતેગે, જિંદાબાદ, મુર્દાબાદ, હવે એવુ કરવા માંગતા નથી કહી પાર્ટીમાં જોડાઈ સત્તામાં આવો અને આપણા અધિકાર લેવાના છે એવુ આહવાન કર્યુ હતું. વધુમાં તેમણે સૂચિત રિવર લીંક પ્રોજેક્ટ સામે વિરોધ દર્શાવ્યો હતો. આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ પેપર લીક, બેરોજગારી, કૌભાંડ, ખરાબ રસ્તા- પુલ, પાક નુકસાન, ખેડૂતના દેવા માફી સહિતના મુદ્દા જનતા સમક્ષ મુક્યા હતા. આ સભામાં ગુજરાત આપ યુવા પ્રદેશ પ્રમુખ બ્રીજરાજ સોલંકી, ધરમપુર તા. આપ પ્રમુખ કમલેશભાઇ, વલસાડ જિ.આપ પ્રમુખ જયેન્દ્ર ગામીત, સંગઠન મંત્રી કમલેશ પટેલ, પૂર્વ પ્રમુખ જીતુભાઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ સાંસદના આક્ષેપથી જો અમારા લોકોનું ભલુ થતું હોય તો હુ સાંસદની ઓફિસે રોજ સવારે જઇ આક્ષેપો ખાવા તૈયાર છું, પણ સાંસદના આક્ષેપોથી અહીંના લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવવાનું નથી. દરેક વખતે ચૈતર વસાવા અને અનંત પટેલ એમને દેખાય છે. કોંંગ્રેસના પૂર્વ MLA બીજી વખત આપમાં ધરમપુરના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ઈશ્વરભાઇ પટેલે ધારાસભ્ય ચૈતર વસાવાના હસ્તે ખેસ ધારણ કરી ફરી આપમાં જોડાયા હતા. ઉલ્લેખનિય છે કે અગાઉ પણ તેઓ કોંગ્રેસ છોડી આપમાં જોડાયા હતા. જે બાદ બીજી વખત તેમણે કોંગ્રેસ સાથે છેડો આપની કંઠી બાંધી છે.આ સાથે મોટી સંખ્યામાં અન્ય લોકો આપમાં જોડાયા હતા. લાંબા સમય બાદ મંચ પર વાપીના ડો.રાજીવ પાંડે દેખાતા લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

TDOને રજૂઆત કરાઈ:ખેડૂતોના પાક નુકસાનીના ફોર્મ ભરવામાં સાયબર કાફેમાં લેવાય છે મનમાની રકમ

સાવરકુંડલા તાલુકાના જીરા ગામના ખેડૂત અગ્રણી મનસુખભાઈ વિરજીભાઈ સેજલીયાએ તાજેતરમાં ઓનલાઇન ભરવા આવતા ખેડૂતોના પાક નિષ્ફ્ળના ફોર્મ ભરવામાં લેવાતી બેફામ રકમ બંઘ કરવા માટે સાવરકુંડલા તાલુકા વિકાસ અધીકારીને પત્ર પાઠવી માંગ કરવામાં આવી હતી. જીરા ગામના ખેડૂત અગ્રણી મનસુખભાઈએ પત્રમાં જણાવેલ કે થોડા દીવસો પહેલાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકોને વ્યાપક નુકસાન થવા પામેલ જેથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવેલ પાક નુકસાનીના સહાયના ફોર્મ સાવરકુંડલા તાલુકામાં દરેક જગ્યાએ સરકારે નીયુક્ત કરેલા ઓપરેટરો પાસે ઓનલાઈન ફોર્મ તાલુકાના ખેડુતો સબમિટ કરી શકે છે. ખેડૂત સાયબર કાફે કે અન્ય ઓપરેટરો પાસે જાય ત્યારે 7, 12 અને 8અના દાખલાઓ અને ઓનલાઇન ફોર્મ ભરવાની ફીના નામે વધુ પૈસા લેવામાં આવી રહ્યા છે. આ ફોર્મ વિનામુલ્યે ભરી આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામા આવેલ છતાં પણ સાવરકુંડલાની અમુક દુકાનો અને સાયબર કાફે તથા ગામડાઓના ઓપરેટરો ખેડૂતો પાસે મન માને તેવી રકમ ઉઘરાવી રહ્યા છે. જેથી સાવરકુંડલા તાલુકાના જીરા ગામના ખેડૂત અગ્રણી મનસુખભાઈ વિરજીભાઈ સેજલીયાએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરીને સાવરકુંડલા તાલુકાના ખેડૂતો પાસે સહાય ફોર્મ ભરવાના ઉઘરાણા બંધ કરાવવાની માંગ કરવામાં આવેલ છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

કામગીરી:કૃષિ રાહત પેકેજ સહાય માટે 39 હજાર ખેડૂતોની નોંધણી

રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદના પગલે ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કર્યા બાદ વળતર મેળવવા માટેની અરજી શરૂ થઈ છે. જેમાં જિલ્લામાંથી 39.015 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું હોવાનું જાણવા મળે છે. જામનગર જિલ્લામાં આ વખતની ખરીફ સિઝનમાં કુલ 3 લાખ 47,066 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં મગફળી અને કપાસનું મોટા પાયે વાવેતર થયેલું હતું. પરંતુ કમોસમી વરસાદને કારણે આ બંને મેજર ક્રોપને ભારે નુકશાની ગઈ હોવાની ગ્રામ્ય વિસ્તારમાં તમામ તાલુકાઓના ખેડુતોમાં ફરિયાદ ઉઠી હતી. જામનગર જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગે સરકારના બાદ તા.27/10/25થી તા.2/11/25 દરમિયાન જિલ્લાના 418 ગામોમાં યુધ્ધના ધોરણે સર્વે શરૂ કરાવ્યો હતો. જેના અંતર્ગત 332 ટીમોએ નુકશાનીનો સર્વે કર્યો અને રોજકામ પણ કર્યું હતું. જે રીપોર્ટ સરકારને સોંપાયા બાદ ગત તા.14મી નવેમ્બરથી નુકશાનીનું વળતર મેળવવા ખેડુતોના રજીસ્ટ્રેશનશ તા.18 સુધીમાં રાહત પેકેજ માટે ખુડુતોના તાલુકા દીઠ થયેલા રજીસ્ટ્રેશનની વાત કરીએ તો ધ્રોલ તાલુકામાં 4259, જામજોધપુરમાં 5404, જોડીયામાં 4007, કાલાવડમાં 10,168, લાલપુરમાં 6,875 મળીને કુલ 39,015 ખેડુતોનો સમાવેશ થાય છે. સરકારે તા.14થી 15 દિવસોમાં અરજીઓ સ્વીકારવામાં આવશે. તેવી જાહેરાત કરી હતી. તેથી આગામી તા.ર8 નવેમ્બર સુધી અરજીઓ સ્વીકારવામાં આવે. તેમ મનાય છે. ખરેખર તો તંત્રએ ખેડુતો માટે સ્પષ્ટ તારીખ જાહેર કરવીએ ગ્રામ્ય કક્ષાએ જરી બની છે. જિલ્લાના 418 ગામોમાં તંત્ર દ્વારા અગાઉ સર્વે કામગીરી પૂર્ણ કરાઇ હતી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

જાગૃતિ:એન્ટિબાયોટિક દવાઓનો ખોટો ઉપયોગ, ડોક્ટરની સલાહ વગર દવાઓ લેવાથી થતા નુકસાન અંગે માહિતી અપાઇ

જામનગરની ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલ અને શ્રી એમ.પી. શાહ મેડિકલ કોલેજ માં દર વર્ષે તા. 18 મી થી 24 મી નવેમ્બર દરમિયાન એન્ટિમાઇક્રોબીયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જામનગર ખાતે પણ એન્ટિબાયોટિક દવાઓનો અતિરેક કે ખોટો ઉપયોગ, દવા સમય પહેલા બંધ કરી દેવી, સ્વચ્છતાનો અભાવ, અને ડોક્ટરની સલાહ વગર દવાઓ ન લેવા અંગે માર્ગદર્શન આપી જાગૃતિ ફેલાવવાના હેતુસર તા.18 મી નવેમ્બરથી ગો બ્લૂ થીમ સાથે આ સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલમાં દરેક સ્ટાફ દ્વારા બ્લૂ કલરનો ડ્રેસ પહેરી ગો બ્લૂ થીમ સાથે દીપ પ્રાગટ્ય કરીને સપ્તાહની શરૂઆત કરવામાં આવી હતી, જેનું ઉદ્ઘાટન ડીન ડો. નંદીની દેસાઈ અને તબીબી અધિક્ષક ડો. દીપક તિવારીના હસ્તે થયું હતું. ગુરૂવારે ફાર્મેકોલોજી વિભાગ દ્વારા OPD અને વોર્ડમાં પ્રીસ્ક્રિપ્શન ઓડિટ અને પ્રી-ઓથોરાઈઝેશન ઓડિટ કરવામાં આવશે, જ્યારે તા. 21 ના રોજ માઈક્રોબાયોલોજી વિભાગના તજજ્ઞો દ્વારા ICU તથા વિવિધ ક્રિટીકલ એરિયાનું ઈન્ફેક્શન પ્રિવેન્શન અને કન્ટ્રોલ ઓડિટ આયોજિત કરાશે. તા.22 ના રોજ દરેક વિભાગમાંથી AMR અને IPC સંબંધિત સફળતાની સ્ટોરી/બેસ્ટ પ્રેક્ટીસ એકત્ર કરીને પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવશે. તા. 23ના જનજાગૃતિના ભાગ રૂપે માઈક્રોબાયોલોજી અને ફાર્મેકોલોજી વિભાગના નિષ્ણાંતો દ્વારા યુટ્યુબમાં વિડીયો અપલોડ કરી માહિતી આપવામાં આવશે. અંતે, તા. 24ના રોજ ક્વિઝ, ઈ-પોસ્ટર, સ્લોગન, આર્ટીકલ અને અન્ય સ્પર્ધાઓના વિજેતાઓને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ સમારોહ યોજાશે સાથે બેસ્ટ પ્રેક્ટીસ, IPC અને PA ઓડિટ પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવશે. ડબલ્યુએચઓ દ્વારા 2015માં ઉજવણીની શરૂઆત કરાઈએન્ટીમાયક્રોબાયલ અવેરનેસ વીક એન્ટીબાયોટિક્સના ખોટા ઉપયોગને રોકવા, બેક્ટેરિયા મજબૂત ન બને તે માટે અને દુષ્પ્રભાવથી બચાવવા ઉજવવામાં આવે છે. તેની શરૂઆત 2015 મા દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ઉજવણી દરેક દેશમાં કરવામાં આવી રહી છે જેમાં ભારતમાં નો સમાવેશ પણ થાય છે દર વર્ષે 18–24 નવેમ્બર વચ્ચે આ વીક મનાવવામાં આવે છે. હોસ્પિટલોમાં લોકોને દવા લેવાની સમજ, લોકોને જરૂર હોય ત્યારે જ એન્ટિબાયોટિક દવા લેવાનું શીખવવામાં આવે છે આ ઉપરાંત હાથની સફાઈ ઇન્ફેક્શનથી બચવા વગેરે બાબતો કેમ્પેઇન ચલાવવામાં આવે છે

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

રજૂઆત:શિક્ષકોને BLOની કામગીરીથી શિક્ષણ ઉપર પહોંચી ગંભીર અસર

પ્રાથમિક શિક્ષકોને બીએલઓ તરીકે નિયુક્ત કરવાથી શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે જે અંગે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્ય ચૂંટણી કમિશનરને લેખિતમાં પત્ર પાઠવી ચિંતા વ્યક્ત કરી હતી.શિક્ષકો રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરી રહ્યા છે, પરંતુ બીએલઓ ફરજોને કારણે તેઓ તેમના મુખ્ય કાર્ય, શિક્ષણ, પર ધ્યાન આપી શકતા નથી. વર્તમાન સઘન પુનરાવર્તન પ્રોજેક્ટ દરમિયાન શિક્ષકો 12 થી 15 કલાક કામ કરી રહ્યા છે, અને આ વધારાનો બોજ અસહ્ય છે. સંઘ દ્વારા પ્રકાશિત મુખ્ય મુદ્દાઓ મુજબ મતદાર યાદી ચકાસણી અને સર્વેક્ષણ માટે શિક્ષકોને શાળાના સમય દરમિયાન વારંવાર ગેરહાજર રહેવું પડે છે, જેનાથી વિદ્યાર્થીઓના શિક્ષણમાં સીધો અવરોધ આવે છે. કાર્ય-જીવન સંતુલનનો અભાવ જોવા મળે છે બીએલઓ આજવાબદારીઓ નિયમિત શાળા સમય પછી પણ લંબાય છે, જેના કારણે શિક્ષકોમાં શારીરિક થાક અને માનસિક તાણ વધે છે. સલામતીના પ્રશ્નો ઉભો થયો છે. જેમાં ખાસ કરીને મહિલા શિક્ષકો માટે, અજાણ્યા અને દૂરના વિસ્તારોમાં ફરજ બજાવવાને કારણે સલામતી અને પરિવહનની ચિંતાઓ ઊભી થાય છે. સંઘ દ્વારા ચૂંટણી પંચને કરાયેલા સૂચનો શિક્ષણના ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે સુધારાત્મક પગલાં સૂચવ્યા છે જેમાં શાળાના શિક્ષકોને બદલે ફક્ત ચૂંટણી કાર્ય માટે પૂર્ણ-સમય અથવા કરાર આધારિત બીએલઓ કર્મચારીઓની નિમણૂક કરવા અનુરોધ કરાયો છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

કુતુહલ:પોશ રહેણાંક વિસ્તારમાં રાત્રે રોઝડાના આંટાફેરા

જામનગર શહેરના બેડી બંદર રોડ પર આવેલા એક પીઝા પાર્લર નજીક મોડી રાત્રે ત્રણેક વાગ્યે જંગલી પ્રાણી રોઝડું લટાર મારતું દેખાયું હતું. જેથી મોડી રાત્રે પસાર થનારા કેટલાક વાહનચાલકોમાં કુતુહલ પ્રસર્યું હતું, ઉપરાંત તેઓએ પોતાના મોબાઈલ ફોનમાં જંગલી પ્રાણીનો વિડીયો પણ બનાવી લીધો હતો. શહેરી વિસ્તારમાં રોઝડુ જોઈને લોકો આશ્ચર્યચકિત બન્યા હતા. કડકતી ઠંડીમાં આવા પોષ વિસ્તારમાં 'રોઝડું' દેખાતા વન્ય વિભાગ ને જાણ કરવામાં આવી હતી, જેથી વન વિભાગ ની ટીમે રોઝડાને પકડી લઈ કુદરતના ખોળે મુકવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના ગોકુલનગર વિસ્તારમાં પણ બે દિવસ પહેલા નીલ ગાય એટલે કે, રોઝડાના આંટાફેરા જોવા મળ્યા હતા. આજે પંચવટી જેવા શહેરના વધુ એક પોષ અને રહેણાંક વિસ્તારમાં રોઝડુ જોવા મળતા લોકોમાં કુતુહલ ફેલાયું હતું.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

આયોજન:જામનગરમાં 21મીના રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રિલનું આયોજન

જામનગરમાં ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તથા ગુજરાત સરકારના ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તેમજ જિલ્લા વહીવટી તંત્ર જામનગરના ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા આગામી તારીખ 21 નવેમ્બરના રોજ રિલાયન્સ રિફાઇનરી ખાતે રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2019 પછી આ પ્રકારની રાષ્ટ્રીય કક્ષાની ડ્રિલ જામનગર ખાતે યોજાવા જઈ રહી છે. આ મોકડ્રિલ રિલાયન્સ રિફાઈનારીના ટેન્ક ફાર્મમાં આગ લાગવાની સ્થિતિને અનુલક્ષીને યોજવામાં આવશે. જેમાં કલેકટરે જિલ્લા વહીવટી તંત્ર કોઇપણ આફતને પહોચી વળવા તેમજ નાગરીકોના હીત માટે સંપૂર્ણ કટીબદ્ધ રહેશે તેમ જણાવ્યું હતું. આ મોકડ્રિલના આયોજન માટે જિલ્લા કલેકટર કેતન ઠક્કર, દિલ્હીથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારી આદિત્યકુમાર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક ડો.રવિમોહન સૈની, સેનાના અધિકારીઓ તથા સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથેની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. આ અંગે જિલ્લા કલેકટર કેતન ઠક્કરે જણાવ્યું કે આ મોકડ્રિલ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં વહીવટીતંત્રની કોઈપણ પ્રકારની ડિઝાસ્ટરને પહોંચી વળવાની ક્ષમતાની કસોટી કરી તેની તૈયારીઓ અંગેની સમીક્ષા કરવામાં આવશે. આ અંગેની સમીક્ષા કરવા દિલ્હી સ્થિત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારી આદિત્યકુમાર તથા તેમની ટીમ પણ જામનગર ખાતે આવી પહોંચી છે અને સમગ્ર ડ્રિલનું સંકલન તથા સંચાલન કરી રહી છે. આ ડ્રિલમાં કેન્દ્ર તથા ગુજરાત સરકારના તમામ સંબંધિત વિભાગો, સેનાની ત્રણેય પાંખ તેમજ કોસ્ટ ગાર્ડ સહિતની તમામ ઓથોરિટી સક્રિયપણે જોડાશે. જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા આ મોકડ્રિલના આયોજન સબંધે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર કેતન ઠક્કરે અંતમાં વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, આગામી દિવસોમાં જિલ્લાના નાગરિકોના હિત માટે કોઈપણ પ્રકારના ડિઝાસ્ટરને પહોંચી વળવાની કામગીરી માટે જિલ્લા વહીવટી તંત્ર સક્ષમ છે અને સુપેરે કામગીરી કરવા માટે કટિબદ્ધ છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

વાતાવરણ:જામનગર બન્યું ઠંડુગાર પારો 12.5 ડિગ્રીએ સ્થિર

જામનગરમાં શિયાળો ધીમે ધીમે પોતાની રફતાર પકડી રહ્યો છે જેને પગલે શહેર ઠંડુ ગાર બન્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં લઘુતમ તાપમાનનો પારો વધુ અડધો ડીગ્રી નીચે શરકીને 12.5 ડીગ્રીએ પહોંચી ગયો હતો. હિમાલય પરથી આવતા ઠંડા વાયરાઓએ ગુજરાતમાં પ્રવેશ કરતા સમગ્ર રાજ્યમાં ઠંડીએ ગતિ પકડી લીધી છે. કચ્ય, જૂનાગઢ, દાહોદ, સાબરકાંઠા સહિતના ભાગોમાં દિન-પ્રતિદિન ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. શિયાળાએ રફ્તાર પકડતા જામનગર સહિત સમગ્ર હાલાર પંથક ઠંડોગાર થઈ ગયો છે. તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. જામનગરમાં ગત્ ચાર દિવસમાં લઘુતમ તાપમાનમાં 3.5 ડીગ્રીનો ઘટાડો થયો છે. ડિસેમ્બરમાં માવઠાની શક્યતા જોકે હવામાન નિષ્ણાંત દ્વારા અરબી સમુદ્રમાં લો-પ્રેશર બની શકે તેવી આગાહી કરી છે. ડિસેમ્બરમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની પણ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં ઠંડીની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ અમદાવાદ, અમરેલી, આણંદ, બોટાદ, છોટાઉદેપુર, જામનગર, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 14 ડીગ્રી ન્યુનત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે,

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

ડરનો માહોલ:વેપારીએ શટર ખોલવા પગ પાસે રાખેલો 7 લાખ ભરેલો થેલો આંચકી બેલડી ફરાર

દેવભૂમિ દ્વારકાના સલાયામાં બુધવારે સવારે વેપારી દુકાનનુ શટ્ટર ખોલતી વેળા પગ પાસે રાખેલો સાત લાખની રોકડ ભરેલો થેલો બાઇકસવાર બેલડી પલકવારમાં ઝુંટવી નાશી છુટયાનો બનાવ બહાર આવતા ભારે દોડધામ મચી જવા પામી છે.માતબર લૂંટના બનાવના પગલે પોલીસે નાકાબંધી કરી લૂંટારૂને સકંજામાં લેવા માટે કવાયત હાથ ધરી છે. દરમિયાન વેપારી દ્વારા એક શકમંદને ઓળખી લેવાયો હોવાનુ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે. સલાયાના અતુલ વલ્લભદાસ બદિયાણી તથા કિરીટ વલ્લભદાસ બદિયાણી નામના બે વેપારી ભાઈઓ જે વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્ફરનું કામ કરે છે.જે નિત્યક્રમ મુજબ ખંભાળિયાથી સલાયા આવ્યા હતા.જે દરમિયાન અતુલભાઇ ગાડી પાર્ક કરવા માટે ગયા સાથે કિરીટભાઇ પોતાની પાસે રહેલ થેલો જેમાં 7 લાખ જેટલી રોકડ રકમ,ડોક્યુમેન્ટ અને દવાઓ તથા દુકાનની તિજોરીઓની ચાવી હતી એ થેલા સાથે દુકાનના શટ્ટર પાસે આવી ચાવી વડે લોક ખોલવા માટે થેલો પગ પાસે રાખ્યો હતો. જે દરમિ્યાન ત્યાં પહેલાથી ઊભેલ એક શખસે ઝડપ ભેર આંચકી લીધા બાદ સામે બીજો વ્યક્તિ જે હોન્ડા ચાલુ રાખીને જ ઉભો હતો જેમાં આ થેલો ઝૂંટવી જનાર વ્યક્તિ બેસી ભાગવા લાગ્યો હતો. જે દરમિયાન કિરીટભાઇએ એમની પાછળ દોડી રાડોરાડ કરી પરંતુ તેઓ નાસી ગયા હતા. આ બનાવ મામલે વેપારી બંધુ પોલીસ સ્ટેશને જાણ કરાતા તાત્કાલિક નાકા બંધી કરાવાઇ હતી. જે સાથે સલાયા પોલીસે પણ લુંટારૂઓના સગડ મેળવવવા કામે લાગી હતી. સલાયા તેમજ અન્ય પોલીસની ટુકડીઓ જુદીજુદી ટીમ બનાવી અને આ ઇસમોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ બાબતે સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં ધોરણસર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.ફરિયાદીએ ફરિયાદમાં લખાવ્યા મુજબ એક આરોપીને ફરિયાદી ઓળખી ગયેલ હોય જેનું નામ એજાજ રજાક સંઘાર હોવાનું ફરિયાદી દ્વારા ફરિયાદમાં જણાવાયુછે.જયારે બીજો ઇસમ હતો એને મોઢા ઉપર રૂમાલ બાંધેલ હોઈ ઓળખી શકાયો નથી. વધુ તપાસ સલાયા મરીન પોલીસના ઇન્ચાર્જ પીઆઇ જોશી ચલાવી રહેલ છે. લૂંટના બનાવના પગલે એસપી જયરાજસિંહ વાળા બનાવ સ્થળે જાતે નિરીક્ષણ માટે આવી પહોંચ્યા હતા હાલ જુદી જુદી પોલીસની ટુકડીઓ આ લૂંટને અંજામ આપનાર ઇસમોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સીસીટીવીના આધારે હાલ તપાસ ચાલુ છે. સલાયામાં આ મોટી લૂંટના બનાવે ડરનો માહોલ ઉભો કરેલ છે.લોકોમાં ડર છવાયો જોવા મળી રહેલ છે.પોલીસ દ્વારા આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે એવું લોકો ઇચ્છી રહ્યા છે. બાઇક ચાલકે માથે ચડાવવા પ્રયાસ કર્યો, કારથી પીછો કર્યો પર છૂ...લૂંટના આ બનાવના પગલે તુરંત જ વેપારી તેની પાછળ દોડી રાડોરાડ કરી હતી.જયારે આગળ ગાડી પાર્ક કરતા અતુલભાઈ પણ એને રોકવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ ચાલકે અતુલભાઈ ઉપર હોન્ડા માથે ચડાવતા, તેઓ હટી ગયેલ અને એમની ફોર વ્હીલ ચાલુ કરી પાછળ થોડે સુધી જવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ બાઇકસવાર બંને બહુ સ્પીડથી નાસી છૂટયા હોવાનુ જાણવા મળ્યુ છે.આ બને નાસી છૂટેલા આરોપી પાસે કાળા કલરના હોન્ડા હતું.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:નાગેશ્વર મંદિરમાં પૂજાની થાળી-અભિષેકના 5 થી 51 હજાર સુધીનાં ઉઘરાણા થતા હોવાનો આરોપ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિધ્ધ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના એક એવા નાગેશ્વર મંદિરમાં કથિત ભ્રષ્ટાચાર અને યાત્રી અસુવિધાઓના મામલે તંત્ર દ્વારા કડક કાર્યવાહીની તૈયારી થઈ રહી છે. પૂજાની થાળીના રૂ. 500થી લઇ 51 હજારની રકમ અને અભિષેક વિધિ માટે પણ રૂ. 5 હજારથી લઇ 51 હજાર સુધીની તગડી રકમ પૂજારીઓ દ્વારા ઉઘરાવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ સ્થાનિક ધારાસભ્ય અને આજુબાજુના ચાર ગામના સરપંચો દ્વારા કરવામાં આવ્યા છે. આ સાથે પૂજા કરેલી એક જ થાળી ફરીવાર દુકાનમાં પહોંચાડી તેનો પૂજાવિધિમાં વારંવાર ઉપયોગ કરવામાં આવતો હોવાનું પણ જણાવાયું છે. સમગ્ર મામલો સપાટી પર આવતા પ્રાંત અધિકારી દ્વારા સંબંધિત પક્ષોને નોટિસ પાઠવી 25 નવેમ્બરના રોજ હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે. દર વર્ષે જ્યાં લાખો દર્શનાર્થી આસ્થા સાથે દર્શને આવે છે તેવા નાગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા દાનપેટીની રકમમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનું, પૂજારીઓ દ્વારા મોટી રકમ લઇ પૂજા કરાવાતી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં ગેરકાયદે દુકાનો તાણી બાંધી તે નજીકના લોકોને પધરાવી રોકડી કરી લેવામાં આવી છે. ગેરકાયદે દુકાનોના કારણે ભાગદોડની સ્થિતિમાં જાનહાનિ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આસ્થાનું ધામ વેપાર કેન્દ્ર બન્યુંદ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના એક એવા નાગેશ્વર મંદિરમાં ઉઘરાણા અને અવ્યવસ્થાની સ્થિતિ છે. આ વેપાર કેન્દ્ર બની ગયું છે ત્યારે મંદિરમાં રૂ. 51 હજાર સુધીના ઉઘરાણા બંધ થવા જોઇએ, પૂજારીઓના કથિત ભ્રષ્ટાચારની તપાસ થવી જોઇએ. તદુપરાંત મંદિરની શાંતિ, સલામતી, સ્વચ્છતા તથા ભક્તિની મર્યાદા જાળવવા માટે તત્કાળ પગલાં લેવા જોઇએ. - પબુભા માણેક, ધારાસભ્ય પૂજાની થાળી ફરી પાછી દુકાનમાં પહોંચે છે... નાગેશ્વર મંદીરમાં બે પૂજારીઓ દ્વારા યાત્રિકો પાસેથી લૂંટ ચલાવાતી હોવાની મેજિસ્ટ્રેટને લેખિત રજૂઆત કરાઇ છે.જેમાં મંદિરમાં ગર્ભગૃહની બહાર ખોટી રીતે દુકાનો બનાવી પૂજાની એક થાળીના પાંચ હજારથી એકાવન હજાર વસૂલવામાં આવે છે, જે પૂજાની થાળી એકવાર યાત્રાળુને ઊંચી રકમે વેચાણ કરાય છે તે ફરીને પાછી દુકાનમાં વેચાણમાં મૂકવામાં આવે છે. અભિષેકના પણ રૂ. 5 હજારથી 51 હજાર સુધી વસૂલાય છે. નીજમંદિરમાં પૂજારી સિવાય અન્ય લોકોના પ્રવેશ પર મનાઇના હુકમનું ઉલ્લંઘનનાગેશ્વર જયોતિર્લિંગ ખાતે નીજ મંદિરમાં પૂજા - અર્ચના માટે માત્ર પૂજારીઓને જવાની છૂટ છે. છતાં પૂજારી તથા તેના મળતીયાઓ સામે આક્ષેપ છે કે તેઓ પૈસા લઈને જળાભિષેક અને પૂજા કરાવે છે. આ ઉપરાંત મંદિરની અંદર આવેલી દુકાન પણ દર વર્ષે હરાજીથી આપવાનો ચેરિટી કમિશનરે હુકમ કર્યો હોવા છતાં તેનું પાલન કરાતું નથી અને તે પણ મળતીયાઓ દ્વારા ચાલી રહી છે. વહીવટદાર સમિતિની રચના માટે ભલામણ કરાશેયાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં જે રીતે વહીવટ દ્વારકાધીશ જગત મંદિર વહીવટદાર સમિતિ દ્વારા ચલાવવામાં આવે છે તે રીતે અહીયા પણ ભક્તોની સુખાકારી અને સારી વ્યવસ્થા માટે વહીવટદાર સમિતિની રચના માટે ભલામણ કરવામાં આવશે. > અમોલ આવટે, પ્રાંત અધિકારી, દ્વારકા

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

મનપાની ઓનલાઇન સિસ્ટમ પર લોકોને ઓછો ભરોસો:8 માસમાં 40 કરોડનો ટેક્સ વસૂલાયો જેમાં 25 કરોડ ઓફલાઇન

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ટેક્સની વસૂલાત કરવામાં આવે છે તે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે થઇ રહી છે. શહેરીજનો બંને રીતે ટેક્સ ભરી રહ્યા છે પરંતુ લોકો ઓનલાઇનનો અસ્વીકાર કરતા હોય તેવુ લાગી રહ્યુ છે. વર્ષ- 2025માં તારીખ 1 એપ્રિલથી 18 નવેમ્બર એટલે કે 8 મહિના દરમિયાન તંત્રએ રૂપિયા 40,22,79,766ના ટેક્સની વસૂલાત કરી છે. પરંતુ તેમાંથી ઓનલાઇન મારફત લોકોએ માત્ર 15 કરોડ રૂપિયા જ ભર્યા છે. બાકીના રૂપિયા 25 કરોડથી વધુતો લોકોએ ઓફલાઇનથી જ ભર્યા છે. એટલે કે લોકોને ઓનલાઇન કરતા ઓફલાઇન પર વધારે ભરોષો છે તેવુ લાગી રહ્યુ છે. એકબાજુ મનપા તંત્ર તમામ પ્રક્રિયાને ડિજિટાઇઝેશન કરવા જઇ રહી છે. જેની પાછળ લાખોનો ખર્ચ પણ કરી રહી છે. છતા લોકો ઓફલાઇન જ વધારે ઉપયોગ કરી રહ્યા છે. ટેક્સ મામલે મહાનગરપાલિકા દ્વારા મહિલાઓને પણ કામે લગાડવામાં આવી છે. ત્રણ વર્ષનો આંકડો જોઈએ તો આ વર્ષે ખૂબ જ ઓછી આવક થઈ છે. આ મામલે મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ છેલ્લા ઘણા સમયથી પ્રચાર કરી રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

ગામડાની શાળાને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન:માળીયાહાટીના તાલુકાની વડિયા પે સેન્ટર શાળા બની પ્લાસ્ટિક મુક્ત શાળા

ૉમાળીયાની વડીયા પે સેન્ટર શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષક કિંજલબેન રાઠોડે એક વર્ષથી મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવવાનું અભિયાન શરૂ કર્યું હતું. જેમાં શાળાના બાળકો, આચાર્ય હમીરભાઈ સિંધવ, સમગ્ર સ્ટાફની ભાગીદારીથી આ પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન વેગવંતુ બન્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ 1100 જેટલી પ્લાસ્ટિકની બોટલ ભેગી કરીને પર્યાવરણ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વડીયા પે સેન્ટર શાળાના ધો-4 થી 8ના 70 જેટલા બાળકો દ્વારા ઈકો બ્રિક્સ બોટલ ભેગી કરી શાળાને પોલીથીન, પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવી છે. જેમાં 1100 ઇકો બ્રિક્સ બોટલ એકત્ર કરાઈ છે. અને એક સ્કૂલના 200 બાળકોના એક વર્ષમાં ચોકલેટમાં વાલીઓના 40,000 રૂપિયાની બચત થઈ હતી અને બાળકો ચોકલેટ ન ખાવાથી દાંત પણ બગડ્યા ન હતા. તેમજ વડીયા પે સેન્ટરના બાળકો પાણીની બોટલ કે લંચ બોક્સ પણ પ્લાસ્ટિકની લાવતા નથી. વર્લ્ડ વાઈડ બુક ઓફ વર્લ્ડ રકોર્ડમાં સ્થાન મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

89.60 કિલોમીટરના નવા રસ્તાનું કરાશે નિર્માણ:જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના 37 રસ્તાઓના કામ શરૂ, 70 સ્ટ્રક્ચરના કામો મંજૂર થયા

જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 32 જેટલા રસ્તાઓના રિસર્ફેસિંગ તથા તેને આનુસંગીક કામગીરી, 5 નવા રસ્તાઓની,70 સ્ટ્રક્ચરના કામોને મંજૂરી આપી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આ 24 રસ્તાઓના કામને આવરી લઈ કુલ 89.60 કિલોમીટર અને કિસાનપથ યોજના હેઠળ 13 રસ્તાઓના કામને આવરી લઈ કુલ 57.15 કિલોમીટરના રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે. માર્ગ અને મકાન પંચાયતના કાર્યપાલક ઇજનેર નિલેશ સોલંકીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની દુરસ્તીકરણની કામગીરીની સાથે રીસર્ફેસિંગની કામગીરી તેજ ગતી એ કરવામાં આવી રહી છે. આ સાથે જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક અને કિસાન પથ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારના 37 જેટલા રસ્તાઓના કામ તથા 70 જેટલા સ્ટ્રક્ચરના કામ મંજૂર કરી દેવામાં આવ્યા છે. તેના એસ્ટીમેટ લેવલની કામગીરી પૂર્ણ કરીને ટૂંક સમયમાં જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, આ 37 રસ્તાઓના કામને આવરી લઈ કુલ 146 કિ.મી રસ્તા નું અંદાજે રૂપિયા 11,081 લાખના ખર્ચે અને 70 સ્ટ્રકચરોના કામને આવરી લઈ અંદાજે રૂપિયા 6036લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

ઊંડા પાણીમાં ડૂબી જવાથી વૃધ્ધનું મોત:સોંદરડા ગામે નદીમાં ન્હાવા ગયા ને ડુબી જતા વૃધ્ધનું મૃત્યુ

સોંદરડા ગામે ડાયારામ નગરમાં રહેતા 57 વર્ષીય મસરીભાઈ રાજાભાઈ સગારકા મંગળવારે બપોરના અરસામાં ગામની નોરી નદીમાં ન્હાવા ગયા હતા. ત્યારે નદીના ઉંડા પાણીમાં ડુબી જવાથી તેનું મૃત્યુ નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસે પહોંચી વૃધ્ધના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી કાર્યવાહી કરી હતી. ઘટના અંગે મૃતકના પુત્ર હિતેષભાઈનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

વૃદ્ધ દંપતિને કોન્ટ્રાકટરે ઠોકર મારી‎:એક્ટિવામાં આવી રહેલા વૃદ્ધ દંપતિને કોન્ટ્રાકટરે ઠોકર મારી

જુનાગઢ મહાનગરપાલિકામાં લાખો રૂપિયાના ખર્ચે ડ્રોનથી મચ્છરો ભગાડવા માટેની કામગીરી ચાલી રહી છે. જેમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરનારે પોતાની ગાડી ઠોકી દઇ અકસ્માત કર્યો હતો.નજરે જોનારા લોકો દ્વારા જાણવા મળતી વિગત મુજબ કોર્પોરેશન દ્વારા શહેર માં ડ્રોન દ્વારા દવા છાંટવાની કામગીરી ચાલુ છે . એ પ્રોજેક્ટ ના પ્રોજેક્ટ મેનેજર હની પટેલ પોતાની કાર લઈને સરદાર બાગ થી મોતીબાગ જતા હતા તે સમયે દરમિયાન તેમને ચાલુ ગાડીએ પોતાના ચશ્માં સાફ કરવાનું યાદ આવ્યું હતું. પોતે ચાલુ ગાડીએ ચશ્મા સાફ કરતા હતા તે દરમિયાન કોર્પોરેશન દ્વારા રોડના ડિવાઈડર ઉપર મૂકવામાં આવેલ કુંડાઓ જે સારી કોલેટીના હોવા છતાં પણ તે કુંડાને ઠોકર મારતા કુંડાઓ પછાડી દીધા હતા. અધુરામાં પૂરું પાછળથી એક વૃદ્ધ દંપતી એકટીવા માં આવી રહ્યું હતું તેમને પણ ઠોકર મારી હતી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:ગિરનાર બાયોમેડિકલ વેસ્ટ ફેકટરીની પ્રાથમિક તપાસમાં હવે એને જ નોર્મલ જણાયું , જે જીપીસીબીએ એને રેડઝોનમાં મુકી છે !

વર્ષ 2001માં જ્યારે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે, સામાન્ય કચરો એ બાયોમેડિકલ વેસ્ટ નથી. બાયો મેડિકલ માટે અલગથી વ્યવસ્થા હોવી જોઈએ અને જો એ વ્યવસ્થા ન હોય તો ડોક્ટરનું લાયસન્સ પણ રદ થઈ જશે. આ ચુકાદા બાદ જૂનાગઢના તબીબો ભેગા થયા અને ગિરનાર બાયો મેડિકલ વેસ્ટના નામે આ કારખાનું શરૂ કર્યું હતું. ટ્રસ્ટના સુંવાળા નામે શરૂ થયેલું કારખાનું ધીમે ધીમે ઝેરનું કેન્દ્ર બની ગયું હતું. અત્યારે હાલત એવી છે કે આ કારખાનું રેડ ઝોનમાં આવે છે. જીપીસીબીને ખબર હોવા છતાં તે લોકો કઈ કરી શકતા નથી. મહત્વની બાબતે છે કે, આ કારખાનું ગિરનાર ઇકો સેન્સિટિવ ઝોનમાં આવેલું છે . પહેલા જીપીસીબી દ્વારા સેમ્પલ લેવામાં આવ્યું હતું પણ હવે તેમનું એવું કહેવું છે કે બધું બરાબર ચાલે છે. બીજી બાજુ વન અધિકારીઓ પણ અન્ય બ્રાન્ચ ઉપર જવાબદારી ઢોળી આમાંથી નીકળવા માંગે છે. ખાસ કરીને જે વિસ્તારમાં સિંહોની સંખ્યા સારી એવી છે ત્યાં પણ લોલમ લોલ ચાલી રહ્યું છે. આખો દિવસ કારખાનું બંધ રાખી સેમ્પલ‎લેવાયા: સેમ્પલ લેવાયા પછી કારખાનુ શરૂ‎જીપીસીબીએ કારખાનુ બંધ હતુ ત્યારે મશીન મુકીને સેમ્પલ લેવાનું નાટક કરી લીધુ અને સેમ્પલ લઇને ટીમ નિકળી ગઇ એ પછી રાત્રે કારખાનુ ફરીથી ધમધમવા માંડ્યુ હતુ. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું આ નાટક જ તેને પ્રદૂષિત બોર્ડ સાબીત કરી રહ્યું છે. જિલ્લા પ્રશાસન પણ આ મામલે કોનાથી હાથએકનો ઘુમટો તાણીને બેઠુ છે એવો સવાલ પણ ઉઠ્યો છે. ગિરનાર જંગલમાં 28 સાવજ અને લુપ્તતાના આરે આવેલા ગિરનારી ગીધનો પણ વાસગિરનારના જંગલમાં વન ખાતા ના ચોપડે 28 સાવજ નોંધાયેલા છે. આ સાવજ ઉપરાંત દીપડા, ગિરનારી ગીધની પણ સારી એવી સંખ્યા છે. ગિરનાર ઇકો સેન્સિટિવ ઝોનનો મતલબ જ એ થાય છે કે ગિરનારમાં વસતા વન્યજીવોને માનવ થકી કોઈ નુકસાન ન થાય. જેના માટે પ્લાસ્ટિક સહિતની વસ્તુઓ પણ ગિરનાર વિસ્તારમાં બેન કરવામાં આવી છે. ગિરનારી ગીધએ લુપ્ત થવાના આરે ઉભા છે અત્યારે માત્ર 22 ગીધ જ બચ્યા છે. ગિરનાર ઇકો સેન્સિટીવ ઝોનના અધ્યક્ષ કલેકટર છે : ડીસીએફવર્ષ 2012 માં ગિરનાર માં વસતા વન્ય પ્રાણીઓ માટે આ ઇકો સેનસીટીવ ઝોન બનાવવામાં આવ્યું હતું. અત્યારે રેડ ઝોનમાં આવેલું ગિરનાર બાયો મેડિકલ વેસ્ટ ના સેમ્પલ જીપીસીબી દ્વારા લેવામાં આવ્યા છે. પરંતુ અત્યાર સુધી તેમનો રિપોર્ટ આવ્યો નથી. પ્રાથમિક દ્રષ્ટિએ જીપીસીબીના અધિકારીઓનું એવું કહેવું છે કે બધું બરાબર છે. અત્યારે ઇકો સેન્સિટીવ ઝોનના અધ્યક્ષ કલેક્ટર છે. તેઓ ધારે તો ઘણી બધી વસ્તુ કરી શકે તેમ છે. વધારે મારે કશું કહેવું નથી.. > ડી સી એફ અક્ષય જોશી

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

વિસાવદરમાં 100 ટકા ફોર્મ વિતરણનુ કામ પૂરૂ‎:જિલ્લામાં 99 ટકા ફોર્મ વિતરણ 18 ટકાનું ડિઝીટાઇઝેશન પણ થયુ

જૂનાગઢ સહિત રાજ્યભરમાં મતદાર જાગૃતિ અને ભાગીદારી વધારવાના હેતુસર ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (એસઆઇ આર) હાથ ધરવામાં આવ્યો છે. આ કામગીરી સાથે જૂનાગઢ જિલ્લામાં 1338 કર્મચારીઓ બીએલઓમાં જોડાયેલા છે. હાલ જિલ્લામાં એસઆઇઆર ફોર્મ વિતરણની કામગીરી 99.79 ટકા પૂરી થઇ છે જેમાં સૌથી વધુ 100 ટકા કામ વિસાવદરમાં થયુ છે. જિલ્લામાં કુલ 13,00,344 ફોર્મ વિતરણ કરવાના છે. તેમાંથી 2,31,155 ફોર્મતો બીએલઓએ ભરીને ઓનલાઇન એપમાં ચઢાવીને ડિઝીટાઇઝેશન કર્યુ છે. જેમાં માણાવદરમાં 19 ટકા, જૂનાગઢમાં 17.63 ટકા, વિસાવદરમાં 24.08, કેશોદમાં 12.79 ટકા અને માંગરોળમાં 15.03 મળી જિલ્લામાં કુલ મળી 18 ટકા ફોર્મનુ ડિઝીટાઇઝેશન થયુ છે આ કામગીરી હજુ તારીખ 4 ડિસેમ્બર સુધી ચાલવાનુ છે એમ જિલ્લા ચૂ઼ંટણી અધિકારીએ જણાવ્યુ છે. રાત્રે 2 વાગ્યા સુધી ડિઝીટાઇઝેશન કામગીરી કરીએ છીએ: બીએલઓશૈક્ષણિક કાર્ય પૂર્ણ કર્યા બાદ ફોર્મ વિતરણ માટે પોતાના વિસ્તારમાં જઇએ છીએ. બાદમાં રાત્રે 12 વાગ્યા બાદ ઓનલાઇન સાઇડ ઝડપથી ચાલતી હોવાથી રાત્રે 2 વાગ્યા સુધી ફોર્મને ઓનલાઇન સબમીટ કરવાની કામગીરી કરીએ છીએ એમ બીએલઓએ જણાવ્યુ છે. આ વિસ્તારમાં આટલા મતદારો, આટલુ કામ બીએલઓ દ્વારા થયું

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

વોર્ડ નં. 6માં પૈસાનું પાણી:શાંતેશ્વર રોડથી પટેલ સમાજ તરફ સાંકડા ફૂટપાથમાં લાખોના ખર્ચ !

જૂનાગઢ શહેરના જોશીપુરા વિસ્તારમાં પટેલ સમાજથી શાંતેશ્વર મંદિર સુધી મહાનગરપાલિકા દ્વારા મેઈન રોડની બંને બાજુ ફૂટપાથનું નિર્માણ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. શહેરના મુખ્ય માર્ગો પર લોકો ચાલીને જઈ શકે અને ટ્રાફિકમાંથી રાહત મળે તે હેતુથી કરાતી આ કામગીરીનો હેતુ સાચો છે, પરંતુ હાલના તબક્કે કરવામાં આવી રહેલ ફૂટપાથને લઈને સ્થાનિકોમાં ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા પ્રમાણે, ફૂટપાથ પર લાખો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે, પરંતુ તેની રચના એવી રીતે કરવામાં આવી રહી છે કે ચાલકો માટે પૂરતી જગ્યા જ રહેતી નથી. કેટલાંક સ્થળોએ ફૂટપાથ ખૂબ જ સાંકડો રહી જતાં ચાલીને જતા લોકોને રસ્તા પર ચાલીને જવું પડે તેવી સ્થિતિ છે જે અકસ્માતની સંભાવનાઓ વધારતું હોય તેવું જણાય છે. ફૂટપાથનું લેવેલિંગ, ડિઝાઇન અને બંને બાજુ વાહનોની અનિયમિત પાર્કિંગને કારણે ચાલવાની વ્યવસ્થા વધુ મુશ્કેલ બની ગઈ છે. ઉપરાંત આ રોડ પર દિવાળી પહેલાથી ફૂટપાથનું કામ ચાલી રહ્યું છે જેમાં ક્યાંક સાકડો તો ક્યાંક પહોળો બનાવાયો છે. તેમજ ઘણી જગ્યાએ તો ટુકડા ટુકડામાં કામ થતા સળંગ ફૂટપાથ બન્યો નથી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

ભાસ્કર ખાસ:જૂનાગઢ શહેરમાં ઠંડીનો માહોલ ગાઢ બનતા ગરમ કપડાની ખરીદી વધી, જેકેટ - વુડીની માંગ

જૂનાગઢ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. વહેલી સવારે ઠંડી તેમજ ગાઢ ધુમ્મસ અને સાંજે શીતલહરોનો અનુભવ લોકોને થઇ રહ્યો છે. જેને લઇને બજારમાં છેલ્લા ઘણા દિવસથી ગરમ કપડાની દુકાનોમાં ગ્રાહકોની અવરજવર વધી ગઈ છે. આ વર્ષે ખાસ કરીને લેડીસ અને જેન્ટ્સ બંને સેગમેન્ટમાં જેકેટ અને વુડીની વધુ માંગ જોવા મળી રહી છે. સ્ટાઇલિશ, કોમ્પેક્ટ અને દરેક વયજૂથને સુટ થાય એવી ડિઝાઇનના કારણે યુવાનોમાં જેકેટનો ખાસ ક્રેઝ છે, જ્યારે સોફ્ટ અને ગરમી આપતી વુડી મહિલાઓમાં વધુ લોકપ્રિય બની છે. ગરમ કપડાના વેપારી ભ્રુગેશ ચોથાણીએ જણાવ્યુ કે, ઠંડી વધતા ગરમ કપડાની ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં લોકો સામાન્ય રીતે રૂપિયા 500 થી લઈને 1800 સુધીના જેકેટ, વુડીની ખરીદી કરી રહ્યા છે. જેમાં બ્રાઉન, બ્લેક, વ્હાઇટ સહિતના કલર, અવનવી પેટર્નની માંગ વધારે છે. તેમજ કાપડ બજારમાં પણ આર્થિક રીતે મધ્યમ વર્ગના લોકો માટે આકર્ષક ઓફર અને ડિસ્કાઉન્ટ રાખવામાં આવી રહ્યા છે. જેને કારણે ખરીદી વધુ વધી રહી છે. હજુ જેમ- જેમ ઠંડીનો ચમકારો વધતો જશે તેમ- તેમ ગરમ કપડાની ખરીદીમાં પણ વધારો થશે એવુ વેપારીઓએ જણાવ્યુ છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

યુવાનો માટે નિ:શુલ્ક વર્કશોપનું આયોજન:શહેરમાં યુવાનો માટે પ્રથમવાર આર્ટીફિશ્યલ વોલ ક્લાઇમ્બિંગ વર્કશોપ યોજાઈ

શહેરના યુવાનોમાં સાહસ અને નીડરતાના ગુણો વિકસાવવા માટે પ્રથમવાર આર્ટીફીશ્યલ વોલ ક્લાઇમ્બિંગ વર્કશોપનું વિના મૂલ્યે આયોજન કરવામાં આવ્યું હતું. માઉન્ટિંગ એસોસિએશન જૂનાગઢ અને હોલીડે એડવેન્ચર એક્ટિવિટી દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસના સહકારથી આ વર્કશોપ યોજાયો હતો. આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને એક નવી કારકિર્દીનો વિકલ્પ આપવાનો અને સાહસિક પ્રવૃત્તિઓથી પરિચિત કરાવવાનો હતો. આ વર્કશોપમાં 71 દીકરીઓ અને 43 દીકરાઓ મળીને કુલ 144 વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ વર્કશોપ ત્રણ બેચમાં યોજાય હતી, જેમાં સાધનોનો ઉપયોગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દરમિયાન આ પ્રવૃત્તિના ઉપયોગ જેવી મહત્વની બાબતો શીખવવામાં આવી હતી. આ વર્કશોપનું ઇન્સ્પેક્ટર કલ્પેશ શોખલા, ડેનિશ મેંદપરા, પી.સી. ભટ્ટ અને ડૉ. ભાવીન રોકડ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વર્કશોપના અંતે તમામ સહભાગીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

સેમિનારનું આયોજન:જાતિગત સંવેદનશીલતા પર વિદ્યાર્થીઓ માટે સેમિનાર યોજાયો

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ જૂનાગઢ જનરલ આઇટીઆઇ અને કેશોદ આઇટીઆઇમાં જાતિગત સંવેદનશીલતા પર જાગૃતિ સેમિનાર યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને જાતિગત સમાનતા, આદરપૂર્ણ વ્યવહાર અને સમાજમાં લિંગ-આધારિત ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં વન સ્ટોપ સેન્ટર, પીબીએસસી, અને 181 અભયમ ટીમે મહિલાઓ અને કિશોરીઓ માટે ઉપલબ્ધ સરકારી યોજનાઓ અને હેલ્પલાઈન સેવાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમજ પ્રિ-મેરેજ અને પોસ્ટ-મેરેજ કાઉન્સેલિંગ વિશે સમજણ આપવામાં આવી, અને મુશ્કેલીના સમયમાં તાત્કાલિક મદદ મેળવવાની પ્રક્રિયા સમજાવવામાં આવી. આ કાર્યક્રમમાં ડીએચઈડબ્લ્યુ, ઓએસસી, પીબીએસસી, 181 અભયમની ટીમો અને આઇટીઆઇ સ્ટાફ સાથે 150થી વધુ યુવા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ યુવા વિદ્યાર્થીઓને સમાનતા અને સમજણ આધારિત સમાજના નિર્માણ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

વિશ્વ એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ સપ્તાહની ઉજવણી‎:ઇન્ફેક્શન કંટ્રોલ અને દવાના યોગ્ય ઉપયોગ પર ભાર, ઓડિટ અને વર્કશોપ યોજાયા

સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે તાજેતરમાં વિશ્વ એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (એએમઆર) જાગૃતિ સપ્તાહ અંતર્ગત અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મેડિકલ, નર્સિંગ સ્ટુડન્ટ્સ અને સ્ટાફ દ્વારા અંદાજિત 25 પોસ્ટર બનાવવામાં આવ્યા હતા, જે માટે પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન યોજાઈ હતી. વર્ગ 1 થી 4 ના તમામ સ્ટાફે એન્ટી માઇક્રોબીયલ દવાઓ માત્ર ડોક્ટરના સૂચવ્યા મુજબ જ લેવા તેમજ હોસ્પિટલમાં ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ (આઈપીસી) પ્રવૃત્તિઓ પૂર્ણ નિષ્ઠાપૂર્વક કરવાના શપથ લીધા હતા. જાગૃતિ વધારવાના હેતુથી ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ માટે એક ખાસ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એએમઆર અટકાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી કે, શરદી-ઉધરસમાં જાતે એન્ટિબાયોટિક દવાઓ ન લે, સાબુથી નિયમિત હાથ ધોવા, બાળકોને સમયસર રસી અપાવવી અને બીમારીના કિસ્સામાં ડોક્ટર દ્વારા સૂચવાયેલો એન્ટિબાયોટિક કોર્સ ચોક્કસપણે પૂર્ણ કરવા તથા એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સને કારણે સારવાર લાંબી, ખર્ચાળ અને સાજા થવાની શક્યતા ઘટી જાય છે. આ સપ્તાહ દરમિયાન પ્રિસ્ક્રિપ્શન ઓડિટ, આઈપીસી ઓડિટ જેવી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, તથા શનિવારે જાગૃતિ માટે એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

પોલીસ કાર્યવાહી:અમરેલીનો બિલ્ડર કારમાં પીધેલી હાલતમાં દારૂના 4 ચપટા સાથે સંકજામાં

અમરેલીના બિલ્ડરને ભેસાણ પોલીસે પરબવાવડી પાસેથી કારમાં પીધેલી હાલતમાં દારૂના 4 ચપટા સાથે ઝડપી લઇ રૂપિયા 3.01 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ભેસાણ પોલીસ મથકનો સ્ટાફ મંગળવારે સાંજે પેટ્રોલિંગમાં હતો ત્યારે પરબવાવડી ગામ પાસે અમરેલી ખાતે ગજેરાપરામાં રહેતો અને કન્સ્ટ્રકશનનો ધંધો કરતો 32 વર્ષીય હિતેશ નાનજીભાઈ ચાવડા નામનો શખ્સ જીજે 14 બીડી 4508 નંબરની સ્કોર્પિયો કાર આડા અવળી ચલાવી આવતો હોય જેથી તેને રોકી ચેક કરતા કેફી પીણું પીધેલી હાલતમાં હોવાનું જણાયું હતું. પોલીસે હિતેશ નાનજીભાઈ ચાવડાની અટક કરી કાર જોતા કારની પાછળની સીટ પરથી રૂપિયા 1,300ની કિંમતના ઈંગ્લીશ દારૂના 4 ચપટા સાથેની લીલા કલરની થેલી મળી આવી હતી. આથી શખ્સની અટકાયત કરવાની સાથે રૂપિયા 3,01,300નો મુદ્દામાલ કબજે લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

આરોપીને સજા:ઈડરના બુઢેલીમાં યુવકને ચપ્પાના ઘા ઝીંકી ઈજાઓ કરવાના કેસમાં 10 વર્ષ કેદની સજા

ત્રણેક વર્ષ અગાઉ ઇડર તાલુકાના માઢવા ગામના યુવકને ડ્રીપ સર્વે કરવાના બહાને બોલાવી પિતરાઈએ બાઈક પાછળ બેસી રતનપુર બુઢેલી ગામની સીમમા લઈ જઈ હત્યા કરવાના ઇરાદે ગળા અને કપાળના ભાગે ચપ્પાના ઘા મારી જીવલેણ ઇજાઓ કરવા અંતર્ગત કેસ ચાલી જતાં ઈડરના એડિશનલ સેશન્સ જજે તારીખ 19/11/25ના રોજ આઈપીસી-307 હત્યાનો પ્રયાસના ગુનામાં 10 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. તારીખ 8/12/22ના રોજ ઈડર તાલુકાના નવા માઢવા ગામના દિલીપભાઈ પોપટભાઈ પટેલને તેમના પિતરાઈ રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુભાઈ નટવરભાઈ પટેલ (રહે સાહેબપુરા તા.ઈડર)એ ડ્રિપનો સર્વે કરવાને બહાને બોલાવી દિલીપભાઈની બાઇક પાછળ બેસી ગામની સીમમાં જવા નીકળ્યા હતા અને રતનપુર બુઢેલી ગામની સીમમાં ગૌચરમાં પહોંચતા રાજેન્દ્રકુમાર પટેલે દિલીપભાઈને ચાલુ બાઈકે નીચે પાડી દઈ ઝાડી ઝાંખરામાં ખેંચી જઈ મોઢાના ભાગે છાતી પેટ અને ગળાના ભાગે ઉપરા છાપરી ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા અને તમારી માઢવા ગામે આવેલ ખેતીની જમીન મારે લઈ લેવાની છે તમને બધાને જાનથી મારી નાખવાના છે ની ધમકી આપી લોહી લુહાણ હાલતમાં દિલીપભાઈને ગૌચરમાં છોડી જતા રહ્યા હતા આ અંગેનો કેસ ઈડરની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાસરકારી વકીલ નિકેશ.એન.બારોટે દલીલો કરવા સહિત સ્થળ પરથી કબજે લેવાયેલ ચપ્પુ પરથી મળી આવેલ પુરાવા વગેરે રજૂ કરતા એડિશનલ સેશન્સ જજ એમ.વાય. રાધનપુરવાલાએ રાજેન્દ્રકુમાર નટવરભાઈ પટેલને આઇપીસી 307 મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવી સજા ફટકારી હતી. ભાસ્કર ઇન્સાઇડ ફરિયાદ પક્ષે અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યો ફરિયાદ પક્ષના વકીલે હત્યાના પ્રયાસને અકસ્માતમાં ખપાવી આરોપીને બચાવવા માટે ઈજા પામનાર દિલીપભાઈ પટેલ કુટુંબી થતા હોય તેમને મકાન બનાવવા નાણાની જરૂરિયાત હોવાથી રૂ.3 લાખ હાથ ઉછીના આપ્યા હતા અને આરોપીના ઘેર બહેનનું મામેરું હોય પરત માંગી વારંવાર ઉઘરાણી કરવા છતાં પૈસા પરત આપવા ન પડે તે હેતુસર અકસ્માતના કેસને ખોટી રજૂઆત કરી ખોટી ફરિયાદ કર્યાની દલીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:00 am

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપીને ઠગાઈ:નિવૃત શિક્ષકને સાત દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 1.14 કરોડ પડાવ્યા, વધુ 10 લાખ નહિ આપો તો દીકરીઓને વિદેશથી ભારતમાં પરત ડિપોર્ટ કરવા ધમકી આપી

રાજકોટ શહેરમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટી નજીક રહેતા નિવૃત શિક્ષક સાથે ડિજિટલ એરેસ્ટની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. સાયબર ગઠિયા દ્વારા મુંબઈ ક્રાઈમ બ્રાંચની ઓળખ આપી સાયબર આતંકવાદ જેવા ગંભીર ગુનામાં અટક કરવાની બીક બતાવી ફરીયાદીને એક સપ્તાહ સુધી અલગ અલગ સમયે ડીઝીટલ એરેસ્ટ છે તેમ કહી સુપ્રીમ કોર્ટ તથા RBI લખેલા ખોટા દસ્તાવેજો મોકલાવી નિવૃત શિક્ષક પાસેથી કુલ રૂ.1.14 કરોડ પડાવી લીધા હતા હાલ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં ખુલાસો આપવો પડશેફરિયાદી કુરબાન વલીજી બદામી (ઉ.વ.76)એ જણાવ્યું હતું કે, ગત 29 ઓક્ટોબરના રોજ હુ મારા ઘરે હતો ત્યારે અજાણ્યા મોબાઈલ નંબરમાંથી બપોરે 1 વાગ્યા આસપાસ ફોન આવ્યો હતો અને જીઓ ટેલીકોમ કંપનીમાંથી બોલુ છુ કહી તમારો ફોન બે કલાકમાં બંધ થઈ જશે કારણ કે તમારા ફોનનો ઉપયોગ ચાઈલ્ડ પોર્નો ગ્રાફી, ઓનલાઈન ગેંબલીગ, તથા સાયબર આંતકવાદમાં થયો છે જેથી તેને મેં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરી હોવાનું જણાવ્યું હતું. આ પછી તેઓએ મને મુંબઈ ક્રાઈમ બ્રાંચ ખાતે ખુલાશો કરવા જવા જણાવ્યું હતુ. જેથી મે તેને હું સીનીયર સીટીઝન હોવાથી મુંબઈ જઈ શકાય તેમ નથી કહેતા પોતે મુંબઈ ક્રાઈમ સાથે સંપર્ક કરાવી આપીશ કહી ફોનમાં ખુલાસો આપજો કહ્યું હતું. તમારા આધારકાર્ડથી અન્ય રાજ્યોમાં એકાઉન્ટ ખુલેલા છેત્યારબાદ વોટ્સએપ પર વિડીયો કોલ આવ્યો હતો જેમાં પોલીસની વર્દી પેરેલ કોઈ વ્યક્તી હતી જેણે તેમની ઓળખાણ PSI શંકર સુરેશ પાટીલ તરીકે આપી હતી. તેમણે આખુ નામ પૂછયું હતુ અને મારા પરીવારની તમામ ડીટેલ્સ પૂછી હતી જે મેં તેમને જણાવી હતી. ત્યારબાદ મારા આધાર કાર્ડ નંબર માંગતા મેં આપ્યા હતા જે પછી તેમણે મને આધારકાર્ડ પરથી અલગ અલગ રાજ્યમાં ખાતા ખુલેલા છે અને મની લોંડરીંગ તથા સાયબર ક્રાઈમમાં ઉપયોગમાં લેવામાં આવ્યા છે એટલું જ નહીં સાયબર આંતકવાદમાં આધાર કાર્ડ વપરાયેલ છે જેમાં 10 વર્ષથી આજીવન કેદની શિક્ષા થઈ શકે છે કહી ધમકી આપી હતી. સાત દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 1.14 કરોડ પડાવ્યાજેને મેં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરી હોવાનું કહેતા તેઓએ મને જણાવ્યું કે અત્યારે તમને ફીઝીકલ એરેસ્ટ કરતા નથી પરંતુ તમને ડીઝીટલ એરેસ્ટ કરવામાં આવે છે અને જો અમે જણાવીયે તેમ તમે કરશો તો તમને આ સાયબર આંતકવાદના કેસમાં રાહત આપીશુ. આ પછી વારંવાર તેમના વિડીયોકોલ આવતા હતા અને જણાવ્યું કે તમારી સંપિત શંકાના દાયરામાં છે જેથી તમારે તમારી તમામ પ્રોપર્ટીને લીક્વીટાઈઝ કરી RBIમાં રોકડા રૂપીયા જમા કરાવવા પડશે જે રૂપીયા આ કેસ પૂર્ણ થયા પછી તમને વ્યાજ સાથે મળી જશે. આ પછી વોટ્સએપ પર સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડીયા લખેલ અને રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના ડેપ્યુટી ગવર્નર ટી.રબીશંકરની સહિ તથા RBIનો સીકો મારેલ દસ્તાવેજ મોકલ્યો હતો જેમાં જે ખાતામાં રૂપીયા જમા કરાવવા હતા તેની વિગતો જણાવી હતી જેથી હું ખુબ ગભરાઈ ગયો હતો અને મારા SBIના પેન્શન ખાતામાંથી તથા મારા પત્નીના ખાતામાંથી અલગ અલગ ટ્રાંજેક્શનથી રૂપિયા 1.14 કરોડ જમા કરાવ્યા હતા. 10 લાખ આપો નહિ તો તમારી દીકરીઓને ડિપોર્ટ કરાશે ત્યાર બાદ વધુ 10 લાખ નહિં ભરો તો તમને ફીઝીકલ એરેસ્ટ કરવામાં આવશે અને તમારી બંન્ને દીકરીઓને વિદેશથી ડીપોર્ટ કરી ભારત પરત લાવવામાં આવશે પરંતુ અમારી પાસે વધુ રૂપિયા ન હોવાથી મારી નાની દીકરી પાસે રૂપીયા માંગ્યા હતા જેથી મારી નાની દીકરીએ જણાવ્યું કે આ એક ફ્રોડ છે જેથી 1930 સાયબર હેલ્પલાઇનમાં ફોન કરી ફરીયાદ નોંધાવી હતી જે બાદ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 1:05 am