SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
... ...View News by News Source

આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં:આઈકોનિક SG હાઈવેના પ્રથમ તબક્કાના પાઈલટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે; વિશ્વ ઉમિયા ધામના યુવા બિઝનેસ મહાસંમેલનમાં હાજરી આપશે

આવતીકાલે એટલે કે, 28 ડિસેમ્બરે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અમદાવાદમાં સવારે IMA ગુજરાત બ્રાન્ચ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કોન્ફરન્સમાં હાજરી આપશે. બપોરના આઈકોનિક SG હાઈવેના પ્રથમ તબક્કાના પાઈલટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. જે બાદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત યુવા બિઝનેસ મડાસંમેલન-2025નો ઉદઘાટન કરી અને છેલ્લે સંસ્કાર ધામ અમદાવાદ આયોજિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ નમોત્સવમાં હાજર રહેશે. દિવસભર અમદાવાદમાં સાત અલગ-અલગ કાર્યક્રોમોમાં હાજર રહેશે. વિશ્વ ઉમિયા ધામના કાર્યક્રમમાં CM સહિતના પાટીદારો ઉપસ્થિત રહેશેવિશ્વ ઉમિયા ધામ ખાતે યોજાનાર યુવા બિઝનેસ મહાસંમેલનને લઈ તડામર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત ભરમાંથી અંદાજે 20 હજારથી વધુ યુવા બિઝનેસમેન આ મહાસંમેલનમાં ભાગ લેશે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને દુબઈથી પણ પાટીદાર બિઝનેસમેન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ મહાસંમેલનમાં મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારના પાટીદાર મંત્રીઓ અને ધારાસભ્યો પણ હાજર રહેશે. ઉદ્યોગ, વેપાર અને સ્ટાર્ટઅપ્સને લગતા વિષયો પર માર્ગદર્શનયુવા ઉદ્યોગકારોને માર્ગદર્શન અને પ્રેરણા આપવા માટે આ મહાસંમેલન મહત્વપૂર્ણ બની રહેશે. કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત પાટીદાર સમાજના મંત્રીઓ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે. મહાસંમેલન દરમિયાન ઉદ્યોગ, વેપાર અને સ્ટાર્ટઅપ્સને લગતા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે. વિશ્વ ઉમિયા ધામ ખાતે યોજાનાર આ યુવા બિઝનેસ મહાસંમેલન ગુજરાતના યુવા ઉદ્યોગકારો માટે નવી દિશા અને નવી તકો લઈને આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 12:46 pm

વાવોલની સરકારી શાળાના આચાર્ય પર વિદ્યાર્થીઓને માર મારવાનો આક્ષેપ:ગાડીનો કાચ તૂટ્યો તો ત્રણ વર્ગના નિર્દોષ બાળકોને સામૂહિક માર માર્યો, વાલીઓમાં રોષ-હોબાળો

ગાંધીનગરના નજીક આવેલા વાવોલ ગામની સરકારી શાળામાં શિસ્તના નામે માનવતા નેવે મૂકાઈ હોય એવી ઘટના સામે આવી છે. શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને સામૂહિક રીતે ઢોરમાર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે વાલીઓએ શાળા પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આચાર્યની આ જોહુકમી અને ત્યારબાદ શિક્ષકોના ઉદ્ધત વર્તનને પગલે વાલીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને તાત્કાલિક આચર્યને સસ્પેન્ડ કરી કડક પગલા ભરવાની વાલીઓએ માગ કરી છે. શાળાના કોઈ વિદ્યાર્થી દ્વારા અજાણતા આચાર્યની ખાનગી ગાડીનો કાચ તૂટી ગયોગાંધીનગરના વાવોલની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને આચાર્ય દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. શાળાના કોઈ વિદ્યાર્થી દ્વારા અજાણતા આચાર્યની ખાનગી ગાડીનો કાચ તૂટી ગયો હતો. આ બાબતથી આચાર્ય એટલા રોષે ભરાયા હતા કે તેમણે કયા વિદ્યાર્થીએ કાચ તોડ્યો છે તે શોધવાને બદલે ત્રણ અલગ-અલગ વર્ગના તમામ વિદ્યાર્થીઓને એકત્ર કરી માર માર્યો હોવાનો આક્ષેપ વાલીઓ ધ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને ઢોરમાર મારી આચાર્ય રજા પર ઊતરી ગયાવાલીઓના કહેવા મુજબ આચાર્યએ પિત્તો ગુમાવીને નિર્દોષ બાળકોને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. જેના કારણે અનેક બાળકોના શરીર પર આંગળા ઉઠી આવ્યા હતા અને બાળકો ફફડી ઉઠ્યા હતા. આ ઘટનાના પગલે આજે વાલીઓ શાળાએ પહોંચી ગયા હતા પરંતુ, પોતાની ભૂલ સ્વીકારવાને બદલે અથવા વાલીઓને જવાબ આપવાને બદલે આચાર્ય રજા પર ઉતરી ગયા હોવાનું સામે આવ્યું હતું. શાળાના પટાંગણમાં કલાકો સુધી હોબાળો ચાલ્યોશાળાએ પહોંચેલા વાલીઓએ જ્યારે અન્ય શિક્ષકો પાસે આ બાબતે ખુલાસો માંગ્યો, ત્યારે ત્યાં હાજર સ્ટાફે જવાબદારી સ્વીકારવાને બદલે વાલીઓ સાથે ગેરવર્તણૂક કરી હોવાના આક્ષેપ થયા છે. વાલીઓનો આરોપ છે કે, શિક્ષકો અમને યોગ્ય જવાબ આપવાને બદલે ઉદ્ધતાઈપૂર્વક વાત કરી રહ્યા છે અને આચાર્યના બચાવમાં ઉતર્યા છે. શાળાના પટાંગણમાં કલાકો સુધી ચાલેલા આ હોબાળાને કારણે અભ્યાસ કાર્ય ખોરવાયું હતું. શિક્ષકોને પૂછપરછ કરતા કોઈ જવાબ આપવા તૈયાર નથીઆ અંગે એક વિધાર્થીના વાલી રાજુભાઈ નાડિયાએ કહ્યું કે,કાલે મને ખબર પડી કે આ રીતે મારા છોકરાને વગાડ્યું છે એટલે હું આજે સ્કૂલમાં આવ્યો છું. શિક્ષકોને પૂછપરછ કરી પણ શિક્ષકો કોઈ સાચો અને વ્યવસ્થિત જવાબ આપતા નથી. ​મારા છોકરાને એટલા માટે મારવામાં આવ્યો કે ઉપરથી કોઈ છોકરાએ પથ્થર માર્યો હશે અને ગાડીનો કાચ તૂટ્યો હશે. આ ઘટનાને પગલે પ્રિન્સિપાલ સાહેબે ધોરણ 6, 7 અને 8 ના ત્રણેય વર્ગના છોકરાઓને ભેગા કરીને માર માર્યો છે. ​ખૂબ જ બેરહેમીપૂર્વક બાળકોને મારવામાં આવ્યા છે. આવું કૃત્ય તો કોઈ તાલિબાની પણ ન કરી શકે એવી રીતે બાળકોને માર્યા છે. ખરેખર સરકારે આ બાબતે યોગ્ય અને કડક પગલાં લેવા જોઈએ. મારો દીકરો એટલો ડરી ગયો હતો કે, આજે સ્કૂલે જવા પણ તૈયાર નહોતોજ્યારે અન્ય એક વાલી સોલંકી આનંદીબેને કહ્યું કે, મારો છોકરો અહીંયા ધોરણ-7માં અભ્યાસ કરે છે. કાલે સાંજે પ્રિન્સિપાલની ગાડી અહીં પડી હતી અને કોઈ છોકરાએ પતંગ માટે પથ્થર માર્યો હશે જેનાથી ગાડીનો કાચ તૂટી ગયો.​આ વાત પર પ્રિન્સિપાલ એટલા ગુસ્સે થઈ ગયા કે તેમણે ધોરણ-6થી 8ના તમામ બાળકોને લોબીમાં ઉભા રાખીને ઢોર માર માર્યો છે. મારા બાબાને પણ વાગ્યું છે અને તે એટલો ડરી ગયો હતો કે, આજે સ્કૂલે આવવા પણ તૈયાર નહોતો પણ અમે મહામુસીબતે તેને મોકલ્યો છે. વાત ઘરે કરશો તો તમારું નામ કમી કરી દઈશું એવી ધમકી અપાયાના પણ આક્ષેપ​શાળાના બહેનોએ બાળકોને એવી પણ ધમકી આપી છે કે, જો આ વાત ઘરે કરશો તો તમારું નામ કમી કરી દઈશું.અને સર્ટિફિકેટ આપીને ઘરે વળાવી દઈશું. અમે જ્યારે પ્રિન્સિપાલ વિશે પૂછ્યું તો અન્ય સ્ટાફે કહ્યું કે સાહેબને છાતીમાં દુખાવો ઉપડ્યો છે એટલે તેઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. અમને તો ન્યાય જોઈએ ઉલ્લેખનીય છેકે,બાળકોને શારીરિક સજા કરવી એ કાયદેસરનો ગુનો છે. તેમ છતાં સરકારી શાળામાં આ રીતે માસૂમ બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવતા શિક્ષણ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. વાલીઓએ માંગ કરી છે કે આવા અત્યાચારી આચાર્યને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. વાલીઓ આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી બાળકોને શાળાએ ન મોકલવાની ચીમકી પણ કેટલાક વાલીઓએ ઉચ્ચારી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 12:33 pm

નવસારી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ:પૂર્વ પ્રમુખનો ધારાસભ્યને પત્ર, સંગઠનની નબળી કામગીરી અને પાયાના કાર્યકરોની અવગણનાનો આક્ષેપ

નવસારી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ દેસાઈએ ધારાસભ્ય અનંત પટેલને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે સંગઠનની નબળી કામગીરી અને વ્યક્તિગત કિન્નાખોરી સામે ગંભીર રોષ વ્યક્ત કર્યો છે. દેસાઈએ આક્ષેપ કર્યો છે કે જિલ્લામાં સંગઠનની સમજ વગરના લોકોને હોદ્દાઓ સોંપવામાં આવ્યા છે અને પક્ષના પાયાના કાર્યકરોની અવગણના થઈ રહી છે. પત્રમાં સિદ્ધાર્થ દેસાઈએ જણાવ્યું છે કે, તેમણે હંમેશા પક્ષને મજબૂત કરવા માટે તન-મન-ધનથી મહેનત કરી છે. જોકે, હાલના કારભારીઓને તેમની જરૂર હોય તેવું જણાતું નથી. તેમણે ગંભીર આક્ષેપ કરતા લખ્યું કે, બ્લોક પ્રમુખો કાર્યકરોને એવું કહે છે કે તેમને કાર્યક્રમોમાં બોલાવવાની ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખે ના પાડી છે. દેસાઈએ સ્થાનિક પ્રશ્નો પણ ઉઠાવ્યા છે. જેમાં ખૂંધ ગામે થયેલ મર્ડર, સાદકપોર સરપંચ સામેની દરખાસ્ત અને આવાસ યોજનામાં ભાજપ સાથેની કથિત સાંઠગાંઠ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ મુદ્દાઓ દ્વારા તેમણે પક્ષની બગડતી છબી અંગે ચિંતા વ્યક્ત કરી છે. પૂર્વ પ્રમુખે એમ પણ જણાવ્યું કે મોવડી મંડળ માત્ર ધારાસભ્યોનું જ સાંભળે છે, જે પક્ષના પતનનું કારણ બની શકે છે. આ પત્રઘાતને પગલે નવસારી કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી નવસારી કોંગ્રેસનું રાજકારણ આંતરિક વિખવાદ અને જૂથવાદથી પ્રેરિત હોય તેવું લાગી રહ્યું છે. પત્રમાં સંગઠનની જવાબદારી મજબૂત કરી યોગ્ય નિર્ણય લેવાય તેવી પણ ભલામણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 12:25 pm

થર્ટી ફસ્ટ પહેલાં અમરેલીમાં SMCનો સપાટો:60 લાખના વિદેશી દારૂ સાથે એક કરોડનો મુદ્દામાલ જપ્ત, એક બુટલેગર ઝડપાયો; 16 ફરાર

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાના વિસાવદર ગામ નજીક ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ મોડી રાત્રે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 1.04 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દારૂનું કટિંગ કરી વિતરણ થાય તે પહેલા જ SMC ત્રાટકી SMC ટીમે ટ્રક અને અન્ય વાહનો દ્વારા દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું ત્યારે રેડ કરી હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. સ્થળ પરથી 12,726 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 59,64,390 છે. આ ઉપરાંત, મહિન્દ્રા પીકઅપ (GJ 32T2199, GJ10TV9512), ટ્રક (GJ03BZ0181) અને એક બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 1 ઝડપાયો, 16 આરોપી ફરારઆ દરોડા દરમિયાન ગારીયાધારના તનવીર નસીરહુસેન નામના એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે, મુસીમ તેલી, સોહેલ સૈયદ સહિત વાહન માલિકો, ડ્રાઇવરો અને અન્ય અજાણ્યા માણસો મળી કુલ 16 આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. જપ્ત કરાયેલો કુલ રૂ. 1,04,69,390 નો મુદ્દામાલ ખાંભા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. દારૂ ક્યાંથી લવાયો હતો એ અંગે તપાસ ચાલુ31 ડિસેમ્બર નજીક હોવાથી બુટલેગરો સૌરાષ્ટ્રમાં દારૂ ઘુસાડવા સક્રિય બન્યા છે ત્યારે આ મોટો જથ્થો ઝડપાયો છે. આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કયા જિલ્લાઓ, શહેરો કે ગામડાઓમાં પહોંચાડવાનો હતો તે અંગે તપાસ ચાલી રહી છે. સ્થાનિક પોલીસની ભૂમિકા પર સવાલસ્ટેટ મોનિટરિંગ સેલના આ દરોડાથી ખાંભા પોલીસમાં સન્નાટો વ્યાપી ગયો છે. સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાતા અનેક સવાલો ઉભા થયા છે. આગામી દિવસોમાં પોલીસ ઉચ્ચ કક્ષાએથી કાર્યવાહી થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, આશરે 15 દિવસ પહેલા પણ બાબરા પંથકમાંથી દારૂ ભરેલું એક કન્ટેનર SMC ટીમે દરોડો પાડી ઝડપી પાડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 12:22 pm

અમદાવાદના ફન બ્લાસ્ટમાં બાળકો સાથે બાળક બન્યા CM:ટોય ટ્રેનમાં કરી રાઈડ, અધિકારીઓ સાથે હળવી મજાક; રમકડા આપવા જતા ભૂલકાઓ ટોળુ વળ્યા

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે એસ.જી. હાઇ-વે પર આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આંગણવાડીના નાના બાળકો સાથે સમય વિતાવીને બાળકો જેવી મસ્તી કરી હતી. મુખ્યમંત્રીએ બાળકો સાથે ટોય ટ્રેનમાં રાઈડ લીધી, તેમની કવિતાઓ અને બાળગીતો સાંભળ્યા અને છેલ્લે રમકડાં વહેંચીને બાળકોના ચહેરા પર હાસ્ય ખીલવ્યું હતું. આ કાર્યક્રમમાં CM અધિકારીઓ સાથે હળવી મજાક કરતા પણ નજરે પડ્યા હતા, જેનાથી ફન બ્લાસ્ટમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. CM આવ્યા ત્યારે બાળકોએ બે હાથ ઊંચા કરી સ્વાગત કર્યુંરાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 27 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગ્યે અમદાવાદના એસ.જી. હાઇ-વે ખાતે આવેલા ફન બ્લાસ્ટમાં પહોંચ્યા હતા. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતા તમામ વિધાનસભાના આંગણવાડીના બાળકો દર શનિવારે એસ.જી. હાઇ-વે અને સિંધુભવન રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ખાતે ગેમ ઝોનમાં રમત રમવા માટે અને મજા કરવા માટે આવતા હોય છે ત્યારે આજે નાના બાળકોની સાથે સમય વિતાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. ફન બ્લાસ્ટ ખાતે પહોંચ્યા ત્યારે નાના બાળકો દ્વારા બે હાથ ઊંચા કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફન બ્લાસ્ટ ગેમ ઝોન ખાતે જમ્પિંગથી લઈને નાની રમતોમાં મુખ્યમંત્રી સાથે રહ્યા હતા અને બાળકોને ખૂબ મજા કરાવી હતી ટ્રેનમાં બેસીને મુખ્યમંત્રીએ નાના બાળકની જેમ રમતનો આનંદ માણ્યો ફન બ્લાસ્ટમાં CM આજે આંગણવાડીના બાળકો સાથે સમય વીતાવવા પહોંચ્યા હતા. અહીં CM બાળકો સાથે અનેક પ્રકારની એક્ટિવિટીઓમાં જોડાયા હતા. ક્યાંક ટ્રેનમાં બેસીને મુખ્યમંત્રીએ નાના બાળકની જેમ રમતનો આનંદ માણ્યો તો ક્યાંક અધિકારીઓ સાથે બાળક બની બનીને હળવી મજાક કરી. આ બધાની વચ્ચે બાળકોએ તૈયાર કરેલી સુંદર કવિતાઓ પણ મંત્રમુગ્ધ થઈને CM સાંભળી રહ્યા હતા. જાણે પોતે પણ આ બાળકો સાથે બાળક બની ગયા હોય એવી અનુભૂતિ થઈ. દર શનિવારે આંગણવાડીની 4થી 5 બસો ફન બ્લાસ્ટ ગેમ ઝોન આવે છેફન બ્લાસ્ટના સંચાલક મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવેલી તમામ વિધાનસભાના બાળકો દર શનિવારે વિવિધ આંગણવાડીની 4થી 5 બસો ફન બ્લાસ્ટ ગેમ ઝોન ખાતે આવે છે, જ્યાં નાના બાળકોને સવારે 9:00થી 11 વાગ્યા સુધી તમામ રાઈડમાં રમતો રમવા દેવામાં આવે છે. આ રમતોની સાથે બાળકોને નાસ્તો પણ આપવામાં આવે છે. સાથે-સાથે રમકડાઓનું વિતરણ પણ કરાવવામાં આવે છે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાતે આવ્યા હતા અને તેઓ દ્વારા બાળકો સાથે મજા માણી અને રમકડા વિતરણ કરવામાં આવ્યું હતું. આજે CM પણ કાર્યક્રમમાં બાળકો સાથે હાજર રહ્યા હતાસહકારી આગેવાન બિપિન પટેલ (ગોતા)એ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના મત વિસ્તાર ગાંધીનગર લોકસભામાં દર શનિવારે તેમના મતવિસ્તારની આંગણવાડીના બાળકો આવતા હોય છે અને મજા માણતા હોય છે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ આજે આ કાર્યક્રમમાં બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા. બાળકો દ્વારા કવિતાઓ અને બાળગીત ગાવામાં આવ્યા હતામુખ્યમંત્રી આંગણવાડીના બાળકોની સાથે બેઠા હતા અને બાળકો દ્વારા કવિતાઓ અને બાળગીત ગાવામાં આવ્યા હતા, જે સાંભળીને તેઓ પણ ખુશ થઈ ગયા હતા. બાળકોને રમકડા વિતરણ પણ કરવામાં આવ્યું હતું. રમકડા વિતરણ કર્યા બાદ તેઓ બાળકો સાથે ટ્રેનમાં પણ બેઠા હતા. ટ્રેનમાં બેસીને મુખ્યમંત્રીએ નાના બાળકની જેમ રમતનો આનંદ માણ્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સવારે ફન બ્લાસ્ટમાં અંદાજે 50 મિનિટ જેટલો સમય નાના બાળકો સાથે પસાર કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 12:16 pm

બોટાદમાં 42મી વરિયા પ્રજાપતિ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ:મુંબઈ સહિત 30 ટીમ ભાગ લેશે, 26થી 28 ડિસેમ્બર સુધી મેચો રમાશે

બોટાદ શહેરમાં ૪૨મી વરિયા પ્રજાપતિ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ થયો છે. સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના મૂળ વતન ગણાતા બોટાદને આ વર્ષે યજમાનપદ મળ્યું છે. આ ટુર્નામેન્ટ 26થી 28 ડિસેમ્બર સુધી ચાલશે. બોટાદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ ધર્મિષ્ઠાબેન જોટાણીયા અને સમાજના આગેવાનોના હસ્તે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુંબઈ, નડિયાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર અને બોટાદ સહિત વિવિધ શહેરોમાંથી કુલ ૩૦ ટીમો ભાગ લઈ રહી છે. વરિયા પ્રજાપતિ સમાજ બોટાદ અને આસપાસના ચોવીસ ગામડાઓમાં વસે છે, જેના કારણે આ સમાજને ‘ચોવીસી પ્રજાપતિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગામી ત્રણ દિવસ દરમિયાન એક જ સ્થળે તૈયાર કરવામાં આવેલા પાંચ ગ્રાઉન્ડ પર સતત મેચો યોજાશે. ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે સમાજના આગેવાનો, મહાનુભાવો અને વરિષ્ઠ મુરબ્બીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજના મુરબ્બીઓ દ્વારા ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે અનુદાન પણ આપવામાં આવ્યું હતું. મેચોને નિહાળવા માટે વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, સુરત, મુંબઈ, ભાવનગર, નડિયાદ અને બોટાદથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 12:03 pm

મરીન પોલીસ મથકના PSOનું ચાલુ ફરજે મોત:સુખદેવ વસાવા ચાલુ નોકરીએ અચાનક બેભાન થઈ ઢળી પડ્યા, હાર્ટ-એટેકની આશંકા

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી નિભાવતા પોલીસ વિભાગ માટે આજે એક અત્યંત દુઃખદ દિવસ સાબિત થયો છે. હજીરા મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાન સુખદેવ વસાવાનું ચાલુ ફરજ દરમિયાન અચાનક સંભવિત હાર્ટ-એટેક આવવાને કારણે નિધન થયું છે. સુખદેવભાઈ મરીન પોલીસ સ્ટેશનમાં પી.એસ.ઓ. (PSO) જેવી મહત્વની જવાબદારી સંભાળી રહ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે અને એક નિષ્ઠાવાન જવાન ગુમાવ્યાનો સાથી કર્મચારીઓમાં જોવા મળી રહ્યો છે. પોલીસકર્મી એકાએક બેભાન થઈ ઢળી પડ્યાંઘટનાની વિગતો મુજબ, માટે 38 વર્ષના સુખદેવ વસાવા મરીન પોલીસ મથકમાં પોતાની રોજીંદી ફરજ પર હતા અને કામકાજ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમની તબિયત લથડી હતી અને તેઓ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા. આ જોઈને પોલીસ સ્ટેશનમાં હાજર અન્ય સાથી કર્મચારીઓ તાત્કાલિક તેમની મદદે દોડી આવ્યા હતા. જવાનની ગંભીર હાલત જોતા જ સાથી પોલીસકર્મીઓ તેમને કોઈ પણ વિલંબ કર્યા વિના પોલીસ વાનમાં જ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. સારવાર મળે તે પહેલાં જ મોતકમનસીબે, કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે પહોંચતા જ ફરજ પરના તબીબોએ સુખદેવ વસાવાની તપાસ કરી હતી, પરંતુ હોસ્પિટલના ઉંબરે પગ મૂકે તે પહેલાં જ તેમનું મોત થઈ ચૂક્યું હતું. તબીબોએ તેમને મૃત જાહેર કરતા પોલીસ સ્ટેશનથી સાથે આવેલા કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. એક ખડતલ અને હસમુખા સાથીદારનું આ રીતે અચાનક વિદાય લેવું તે સમગ્ર વિભાગ માટે આઘાતજનક સમાચાર બની રહ્યા હતા. હાર્ટ-એટેકથી મોત થયાનું અનુમાન પોલીસ જવાનના અચાનક નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા તેમના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યાં ગમગીન દ્રશ્યો સર્જાયા હતા. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતના સત્તાવાર કારણની સ્પષ્ટતા થશે, જોકે પ્રાથમિક દ્રષ્ટિએ આ હાર્ટ-એટેક હોવાનું માનવામાં આવી રહ્યું છે. ચાલુ ફરજ પર જાન ગુમાવનાર આ જવાનની અંતિમ વિદાય વખતે પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવે તેવી પણ શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 11:57 am

પરીક્ષક MCQ ના ઓપ્શન આપવાનુ જ ભૂલી ગયા !:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા બી.એડ.સેમ.3 ની પરીક્ષામા છબરડાથી 4000 વિદ્યાર્થીઓ પરેશાન થયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે. જેમાં બી.એડ.સેમેસ્ટર - 3ની પરીક્ષામાં ગાઈડન્સ એન્ડ કાઉન્સિલ વિષયના 35 માર્કના પેપરમાં 5 માર્કના MCQ પૂછ્યા હતા પરંતુ તેમાં પેપર સેટર જવાબો આપવાનું ભૂલી ગયા હતા. જેથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. જોકે બાદમાં વિદ્યાર્થીઓએ ફરિયાદ કરતા યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા એમસીક્યુના 4 ઓપ્શન આપવામાં આવ્યા હતા અને ભૂલ સુધારવામાં આવી હતી. આ પ્રકરણમાં હવે પરીક્ષા વિભાગ દ્વારા અધ્યાપકનો ખુલાસો પૂછવામાં આવશે અને ત્યારબાદ સજા અથવા દંડ ફટકારવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા હાલ B.Edની પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં 26 ડિસેમ્બરના શુક્રવારે ગાઈડન્સ એન્ડ કાઉન્સિલ વિષયનું પેપર લેવામાં આવ્યુ હતું. પેપર સ્ટાઇલ મુજબ પ્રશ્ન પેપરમાં પહેલા 5 MCQ પૂછવામાં આવતા હોય છે. પરંતુ પરીક્ષક દ્વારા MCQ ના જવાબ માટેના 4 ઓપ્શન આપવામાં આવ્યા ન હતા. આ પ્રકારની ભૂલ 5 માર્કના 5 MCQ માં કરવામાં આવી હતી. જોકે બાદમાં વિદ્યાર્થીઓની ફરિયાદ મળતા ભૂલ સુધારવામાં આવી હતી. B.Ed સેમેસ્ટર - 3 ની પરીક્ષામાં પરીક્ષક પેપર સ્ટાઇલ મુજબ MCQ ના જવાબ માટે 4 ઓપ્શન આપવાનું જ ભૂલી જતા પરીક્ષાર્થીઓએ ફરિયાદ કરી હતી. જેથી પરીક્ષા વિભાગે તાત્કાલિક પ્રશ્ન પેપર બદલીને મોકલતા 4000 જેટલા વિદ્યાર્થીઓને વધુ 15 મિનીટનો સમય ફાળવવામાં આવ્યો હતો. જોકે અમુક કોલેજોમાં વિદ્યાર્થીઓને વધારાનો સમય આપવામાં ન આવ્યો હોવાનું પણ સામે આવ્યુ છે. આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહનો સંપર્ક કરવામાં આવતા તેમને જણાવ્યું હતું કે, બી.એડ.સેમેસ્ટર 3 ની પરીક્ષામાં 5 માર્કના એમસીક્યુમાં જવાબો માટેના 4 ઓપ્શન આપવાનું ભુલાઈ ગયું હતુ. જે પેપર સેટરની ભૂલ હતી. જેથી તેનો કમિટી સમક્ષ ખુલાસો પૂછવામાં આવશે અને ત્યારબાદ સજા અથવા દંડ થશે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 11:57 am

શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા 'વીર બાળ દિવસ' ઉજવણીમાં જોડાયા:જામનગર ગુરુદ્વારામાં લંગર પ્રસાદમાં સેવા આપી, પ્રસાદ પણ આરોગ્યો

જામનગરના ગુરુદ્વારા નજીક ચાલી રહેલી 'વીર બાળ દિવસ'ની ઉજવણીમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા જોડાયા હતા. તેમણે ડોક્યુમેન્ટરી નિહાળી હતી અને સેલ્ફી પણ લીધી હતી. ત્યારબાદ, તેમણે ગુરુદ્વારામાં આયોજિત લંગર પ્રસાદમાં સેવા આપી હતી અને ભક્તો સાથે કતારમાં બેસીને પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. જામનગરમાં સુભાષ બ્રિજ નીચે ગુરુદ્વારા નજીક છેલ્લા એક સપ્તાહથી 'વીર બાળ દિવસ'ની ઉજવણી થઈ રહી છે. અહીં ગુરુ ગોવિંદસિંઘજીના સાહિબઝાદાઓના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી રહી છે અને ચાર સાહિબઝાદાઓના કટઆઉટ્સ પણ મૂકવામાં આવ્યા છે. આ ઉજવણીના ચોથા દિવસે મંત્રી રિવાબા જાડેજા સાથે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશિષ જોષી સહિત શહેર ભાજપના અન્ય કોર્પોરેટરો અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. સર્વે મહાનુભાવોએ ડોક્યુમેન્ટરી નિહાળી અને વીર બાળકો સાથે સેલ્ફી લીધી હતી. મંત્રી રિવાબા સહિતના અગ્રણીઓએ સનાતન સંસ્કૃતિની રક્ષા કાજે ગુરુ ગોવિંદસિંઘજી અને તેમના સાહિબઝાદાઓના બલિદાનનો ઇતિહાસ જામનગરની જનતા સમક્ષ પ્રદર્શિત કરવા બદલ ગુરુદ્વારા કમિટીને અભિનંદન પાઠવ્યા હતા. જામનગર ગુરુદ્વારા કમિટી દ્વારા આ કાર્યક્રમ પ્રતિદિન ચાલુ રાખવામાં આવ્યો છે. આ ઉજવણી આગામી 28 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે, જેમાં દૂધની લંગર પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. કમિટી દ્વારા અન્ય શહેરીજનોને પણ આ ધાર્મિક અને પ્રેરણાદાયક કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 11:52 am

નલિયા 11.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ:ડીસામાં 13.2, અમરેલીમાં 13.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું; જાણો તમારા શહેરનું તાપમાન

રાજ્યમાં મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ હતી. નલિયામાં લઘુત્તમ તાપમાનમાં 1.7 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈને 11.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયા બાદ ડીસામાં 13.2 અને અમરેલીમાં 13.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં પણ 0.2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈને 15.1 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વહેલી સવારે હળવા ધુમ્મસની અસર જોવા મળી શકે છે, જે વિઝિબિલિટિમાં ઘટાડો થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 11:43 am

સોમનાથમાં ‘જન કલ્યાણ શિવ વંદના’ પદયાત્રા સંપન્ન:મંત્રી કુંવરજી બાવળીયાએ દર્શન કરી ધ્વજારોહણ કર્યું

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી ‘જન કલ્યાણ શિવ વંદના’ પદયાત્રા સોમનાથ મહાદેવ ખાતે સંપન્ન થઈ છે. આ પદયાત્રા 20 ડિસેમ્બરના રોજ ઘેલા સોમનાથથી શરૂ થઈ હતી. મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને પદયાત્રીઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. તેમણે રાજ્યના નાગરિકોની સુખાકારી અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. મહાદેવને ગંગાજળથી જળાભિષેક અર્પણ કરી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મંત્રીએ પોતાના પરિવાર સાથે સોમનાથ મંદિરની પરિક્રમા કરી હતી. ત્યારબાદ તેમણે ‘હર હર મહાદેવ’ના નાદ સાથે ધ્વજારોહણ કર્યું. મંદિર પરિસરમાં ઉપસ્થિત પદયાત્રીઓ દ્વારા શિવભજનો પણ ગવાયા હતા. ઘેલા સોમનાથથી શરૂ થયેલી આ પદયાત્રા કુલ 229 કિલોમીટર લાંબી હતી. તે પ્રભાસ ક્ષેત્રમાં સમાપ્ત થઈ હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી સહિતના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 11:38 am

ગોધરા રેલવે સ્ટેશન પર અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો:રેલવે પોલીસે વાલીવારસોની શોધખોળ શરૂ કરી

ગોધરા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૪ અને ૫ વચ્ચેના સ્ટીલના બાકડા પરથી એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. રેલવે પોલીસે મૃતદેહનો કબજો લઈ તેના વાલીવારસોની શોધખોળ શરૂ કરી છે. ગોધરા રેલવે પોલીસ સ્ટેશની પ્રાથમિક તપાસમાં જણાયું છે કે આશરે 70 વર્ષીય અજાણ્યા પુરુષનું કોઈ બીમારીના કારણે કુદરતી રીતે મૃત્યુ થયું હોવાની આશંકા છે. મૃતકની ઓળખ માટે પોલીસે વર્ણન જાહેર કર્યું છે. મૃતક આશરે 70 વર્ષના, ઘઉંવર્ણના, ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ અને પાતળા બાંધાના છે. તેમણે ભૂરા રંગનું આખી બાંયનું શર્ટ, કમરના ભાગે છીકણી કલરનું પેન્ટ અને કાળા કલરનું ગરમ જેકેટ પહેરેલું છે. અનાર્મ વુમન પોલીસ હેડ કોન્સ્ટેબલ શ્રુતિકાબેન ધનાભાઈ દ્વારા આ અંગે રિપોર્ટ કરવામાં આવ્યો છે. ગોધરા રેલવે પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ. એસ.ડી. બારીયાએ જણાવ્યું કે, મૃતકના વાલીવારસોની તપાસ ચાલી રહી છે અને ઓળખ માટે જાહેર જનતાને સહયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 11:37 am

પાટણ નગરપાલિકાએ દબાણ હટાવવા ઝુંબેશ હાથ ધરી:મેન બજાર, બગવાડા દરવાજામાંથી લારીઓ, વજનકાંટા જપ્ત, દંડ વસૂલ્યો

પાટણ નગરપાલિકાએ શહેરના મેન બજાર અને બગવાડા દરવાજા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા નિવારવા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન ટ્રાફિકને અડચણરૂપ લારીઓ અને વજનકાંટા જપ્ત કરીને દંડ વસૂલવામાં આવ્યો હતો. લાંબા સમયથી પાટણ શહેરના વ્યસ્ત મેન બજાર અને બગવાડા દરવાજા વિસ્તારમાં લારીઓના દબાણને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. નગરપાલિકાએ અગાઉ લારી ચાલકોને પોતાની લારીઓ નિર્ધારિત પાટાની અંદર રાખી રસ્તો ખુલ્લો રાખવા સૂચના આપી હતી. આ સૂચના છતાં, ઘણા લારી ચાલકો દ્વારા તેનો અમલ થતો ન હતો અને લારીઓ રસ્તાની વચ્ચે જ ઊભી રાખવામાં આવતી હતી. આ સ્થિતિને ગંભીરતાથી લઈ નગરપાલિકાની ટીમે મેન બજારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું. બગવાડા દરવાજા સહિતના વિસ્તારોમાં દબાણ દૂર ન કરનાર લારી ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી. પાલિકાની ટીમે આવા લારી ચાલકોના વજનકાંટા અને અન્ય સામગ્રી જપ્ત કરી. નિયમભંગ કરનારા વેપારીઓ અને લારી ચાલકો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવ્યો. પાલિકા તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ જો પાટાની બહાર લારીઓ રાખવામાં આવશે અથવા ટ્રાફિકને અડચણરૂપ દબાણ કરવામાં આવશે, તો વધુ કડક કાર્યવાહી કરી માલસામાન જપ્ત કરવામાં આવશે. જોકે, થોડી વાર બાદ ફરી લારીઓ રોડ ઉપર ગોઠવાઈ ગઈ હતી. હાલમાં મેન બજારમાં રસ્તો મોકળો કરવા માટે લેવાયેલા આ પગલાંથી વાહનચાલકો અને રાહદારીઓને રાહત મળી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 11:35 am

વાજપેયીજીના નામે બનેલો બાયોડાયવર્સિટી પાર્ક 'દારૂનો નવો અડ્ડો':જ્યાં જુઓ ત્યાં બોટલો-પોટલીઓ, સિક્યુરિટીના નામે મીંડું, '3-4 દિવસે 500 પોટલીઓ ઉંચકીએ છીએ': સફાઈકર્મી

સુરતના અલથાણ વિસ્તારમાં 143 કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલો અને શહેરનું ‘ઓક્સિજન હબ’ ગણાતો અટલ બિહારી વાજપેયી બાયોડાયવર્સિટી પાર્ક આજે અસામાજિક તત્વો અને નશાખોરોનો અડ્ડો બની ગયો છે. જે ગાર્ડનમાં શુદ્ધ હવા અને કુદરતી સૌંદર્ય હોવું જોઈએ, ત્યાં અત્યારે દારૂની ખાલી પોટલીઓ, તૂટેલા ગ્લાસ અને નશાખોરોની મહેફિલના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નશાખોરોએ પાર્કની ફેન્સિંગ કાપીને ચોર રસ્તા બનાવી લીધા છે અને સુરક્ષાના નામે માત્ર બે ગાર્ડ હોવાથી રાત્રિના સમયે અહીં બેરોકટોક મહેફિલો જામે છે. સફાઈ કામદાર મહિલાઓના જણાવ્યા મુજબ, તેઓ દર ત્રણ-ચાર દિવસે પાર્કમાંથી 400થી 500 દારૂની પોટલીઓ ઉંચકે છે. પાલિકા અને પોલીસ તંત્રની ઉદાસીનતાને કારણે કરોડોનો આ ડ્રીમ પ્રોજેક્ટ હવે સામાન્ય નાગરિકો અને વરિષ્ઠ વોકર્સ માટે ભયજનક સ્થળમાં ફેરવાઈ ગયો છે. ઝાડીઓની પાછળ દારૂની બોટલો અને ગ્લાસનો ખડકલોઅલથાણ પ્રવેશદ્વારથી અંદર પ્રવેશતાની સાથે જ વોકિંગ ટ્રેકની બંને બાજુએ ચોંકાવનારા દ્રશ્યો જોવા મળે છે. જ્યાં પક્ષીઓનો કલરવ હોવો જોઈએ, ત્યાં દારૂની ખાલી પોટલીઓ ઉડતી જોવા મળે છે અને 9 લાખ વૃક્ષોની ગીચતાનો લાભ નશાખોરો ઉઠાવી રહ્યા છે. આ ઝાડીઓની પાછળ એવી રીતે દારૂની બોટલો અને પ્લાસ્ટિકના ગ્લાસનો ખડકલો છે કે જાણે અહીં રોજ રાત્રે સેંકડો લોકો મહેફિલ જમાવતા હોય. દારૂ પીધા બાદ બોટલો ટ્રેક પર જ ફોડી નાખવામાં આવે છે, જેના કારણે સવારે વોકિંગ માટે આવતા વરિષ્ઠ નાગરિકો અને બાળકોના પગમાં કાચ વાગવાનો સતત ભય રહે છે. 13 કિમી લાંબો વોકિંગ ટ્રેક નશાખોરો માટે પીવાનો અડ્ડોનશાખોરોની હિંમત એટલી વધી ગઈ છે કે તેઓએ આખા પાર્કની લોખંડની ફેન્સિંગને અનેક જગ્યાએથી કટર વડે કાપી નાખી છે. રાત્રિના અંધારામાં સિક્યુરિટી ગાર્ડની ગેરહાજરીમાં આ કાપેલી ફેન્સિંગ વાટે નશાખોરો આરામથી અંદર પ્રવેશે છે. આ 13 કિમી લાંબો વોકિંગ ટ્રેક હવે નશાખોરો માટે સુરક્ષિત ગલી જેવો બની ગયો છે. સવારમાં સફાઈ કર્મચારીઓ આવે તે પહેલા આ નશાખોરો પોતાનો કચરો ત્યાં જ મૂકીને રફુચક્કર થઈ જાય છે. માત્ર 7 મહિનામાં જ આખું ગાર્ડન 'બાર' માં ફેરવાઈ ગયુંપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જેવી મહાન વિભૂતિના નામે બનેલા આ પાર્કની આવી હાલત જોઈને સુરતીઓમાં રોષ ફેલાયો છે. 143 કરોડના ખર્ચે બનેલા પ્રોજેક્ટમાં શું પાલિકા પાસે પુરતા સિક્યુરિટી ગાર્ડ્સ નથી? કે પછી જાણી જોઈને આ નશાખોરી પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? માત્ર 7 મહિનામાં જ આખું ગાર્ડન 'બાર' માં ફેરવાઈ ગયું છે. દારૂની પોટલીઓ સાથે કોલ્ડ્રિંક્સની બોટલો અને નાસ્તાના પેકેટો પણ ઠેર-ઠેર પડ્યા રહે છે, જે દર્શાવે છે કે અહીં લાંબા સમય સુધી મહેફિલો ચાલે છે. તળાવમાં લીલ જામી ગયેલી અને આસપાસ કચરાના ઢગલાજે તળાવને કુદરતી અહેસાસ માટે બનાવવામાં આવ્યું હતું, તેના કિનારે પણ દારૂની બોટલો ફેંકવામાં આવી છે. તળાવમાં લીલ જામી ગઈ છે અને આસપાસ કચરાના ઢગલા છે. રખડતા કૂતરાઓ આ કચરાના લીધે પાર્કમાં ડેરો જમાવીને બેઠા છે, જેનાથી સામાન્ય મુલાકાતીઓ પર હુમલાનો ખતરો વધી ગયો છે. સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ વહીવટના લીરેલીરાસુરતના સિટીલાઇટ અને અલથાણ વિસ્તારની શાન ગણાતા અટલ બિહારી વાજપેયી બાયોડાયવર્સિટી પાર્કની હાલત કેટલી હદે બદતર થઈ ગઈ છે, તેનો પુરાવો ત્યાં કામ કરતા કર્મચારીઓએ જ આપ્યો છે. દિવ્ય ભાસ્કરના રિયાલિટી ચેકમાં સિક્યુરિટી ગાર્ડ અને સફાઈ કરનાર મહિલાઓની જે વાત સામે આવી છે, તે સાંભળીને સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ વહીવટના લીરેલીરા ઉડી રહ્યા છે. વિશાળ પાર્કની સુરક્ષા માટે રાત્રે માત્ર બે જ સિક્યુરિટી ગાર્ડપાર્કની સુરક્ષા સંભાળતા સિક્યુરિટી ગાર્ડ સાથે વાત કરવામાં આવી, ત્યારે તેમણે એક ભયાનક સત્ય સ્વીકાર્યું હતું. ગાર્ડે કબૂલાત કરી હતી કે, 'અહીં મોટી સંખ્યામાં લોકો રાત્રે દારૂ પીવા માટે આવે છે.', પરંતુ ચોંકાવનારી વાત એ છે કે કરોડોના ખર્ચે બનેલા આટલા વિશાળ પાર્કની સુરક્ષા માટે રાત્રે માત્ર બે જ સિક્યુરિટી ગાર્ડ તહેનાત હોય છે. 143 કરોડના પ્રોજેક્ટની સુરક્ષા માટે પાલિકાની ગંભીરતા પર સવાલગાર્ડે જણાવ્યું કે, તેઓ સવારની ડ્યુટીમાં હોય છે અને રાત્રે બે ગાર્ડ ડ્યુટી કરે છે, પરંતુ અંધારામાં અને સિક્યુરિટીના અભાવે અસામાજિક તત્વો ક્યાંથી અંદર ઘૂસી જાય છે અને મહેફિલો જમાવે છે તેની કોઈને ગતાગમ હોતી નથી. આ નિવેદન સ્પષ્ટ કરે છે કે 143 કરોડના પ્રોજેક્ટની સુરક્ષા માટે પાલિકા કેટલી ગંભીર છે. '400થી 500 જેટલી દારૂની ખાલી પોટલીઓ ઉંચકીએ છીએ'બીજી બાજુ, પાર્કની સફાઈ કરતી મહિલા કર્મચારીઓની હાલત અત્યંત દયનીય છે. તેમણે રડમસ અવાજે જણાવ્યું હતું કે, અહીં દરરોજ દારૂની અસંખ્ય પોટલીઓનો ખડકલો હોય છે. તેમણે જે આંકડો આપ્યો તે સાંભળીને કોઈ પણ ચોંકી જશે. મહિલા કર્મચારીએ કહ્યું કે, 'દર ત્રણ-ચાર દિવસે અમે અહીંથી 400થી 500 જેટલી દારૂની ખાલી પોટલીઓ ઉંચકીએ છીએ.' ફૂલો કે છોડની સુગંધને બદલે દારૂની દુર્ગંધ વચ્ચે કામ કરતા કર્મચારીઓમજબૂરીમાં આ મહિલાઓને નશાખોરો દ્વારા ફેલાવવામાં આવેલી ગંદકી અને દારૂની પોટલીઓ સાફ કરવી પડે છે. ગાર્ડનની ચારે બાજુ ફૂલો કે છોડની સુગંધને બદલે દારૂની દુર્ગંધ વચ્ચે આ કર્મચારીઓ કામ કરવા મજબૂર છે. સફાઈ કામદારોના મતે ગંદકીનું સામ્રાજ્ય એટલું વધી ગયું છે કે હવે આ પાર્કને સાફ કરવો એ એક અશક્ય કામ જેવું લાગી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 11:25 am

હડિયોલ શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું:350 વિદ્યાર્થીએ 150 કૃતિ રજૂ કરી; ગ્રામજનો, પંચાયતના હોદ્દેદારો, SMCના સભ્યો અને વાલીઓએ મુલાકાત લીધી

હિંમતનગરના હડિયોલ ખાતે આવેલી પીએમશ્રી પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને કુલ 150 કૃતિઓ રજૂ કરી હતી. શાળાના કુલ 550 વિદ્યાર્થીઓમાંથી 350 વિદ્યાર્થીઓએ પોતાની આગવી સૂઝબૂઝથી તૈયાર કરેલા વિવિધ મોડેલ્સ અને પ્રોજેક્ટ્સ પ્રદર્શિત કર્યા હતા. આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં રહેલી જિજ્ઞાસા વૃત્તિ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને પ્રોત્સાહન આપવાનો હતો. આ અંગે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક મયુરભાઈ પટેલે જણાવ્યું હતું કે, હડિયોલ પ્રાથમિક શાળા પીએમશ્રી-ગુજરાત દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે આ પ્રદર્શન યોજાયું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગ્રામજનો, ગ્રામ પંચાયતના હોદ્દેદારો, SMCના સભ્યો અને વાલીઓએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. તેમણે વિદ્યાર્થીઓની કૃતિઓને બિરદાવીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 11:16 am

રાજ્ય ગ્રાહક કોર્ટે નીચલી કોર્ટનો હુકમ રદ કર્યો:વેપારીને વ્યાજ સાથે ₹12 લાખથી વધુ વળતર ચૂકવવા આદેશ

પાટણના એક વેપારીને ભારે વરસાદમાં ફર્નિચરને થયેલા નુકસાન બદલ વળતર ન ચૂકવવાના જિલ્લા ગ્રાહક કમિશનના હુકમને રાજ્ય ગ્રાહક કોર્ટે રદ કર્યો છે. રાજ્ય કોર્ટે વીમા કંપની અને બેંકને વેપારીને વ્યાજ સહિત ₹12 લાખથી વધુનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ કેસ પાટણના કૃષ્ણમ પ્લાઝા કોમ્પલેક્ષમાં ભોંયરામાં ફર્નિચરની દુકાન ધરાવતા વેપારીનો છે. તેમણે 28 માર્ચ 2015ના રોજ પાટણ નાગરિક સહકારી બેંક મારફતે બજાજ આલિયાન્ઝ વીમા કંપની પાસેથી માલસામાનની વીમા પોલિસી લીધી હતી. 27 જુલાઈ 2015ના રોજ ભારે વરસાદને કારણે તેમની દુકાનમાં પાણી ઘૂસી ગયું હતું, જેનાથી ફર્નિચરના સામાનને મોટું નુકસાન થયું હતું. વેપારીએ વીમા કંપનીમાં વળતર માટે અરજી કરી હતી અને સર્વે પણ કરવામાં આવ્યો હતો. જોકે, વીમા કંપનીએ વળતર ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. આ પછી વેપારીએ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરી હતી, પરંતુ કમિશને પણ તેમની ફરિયાદ ફગાવી દીધી હતી. આ હુકમ સામે વકીલ દર્શકભાઈ ત્રિવેદી મારફતે રાજ્ય ગ્રાહક કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. અપીલમાં દલીલ કરવામાં આવી હતી કે જિલ્લા કોર્ટનો હુકમ ગેરકાયદેસર, મનસ્વી અને અયોગ્ય હતો. વેપારીની દુકાન ભોંયરામાં હોવા છતાં બેંક અને વીમા કંપનીએ વીમા રક્ષણ આપ્યું હતું. પૂરના નુકસાન માટે માલ બેઝમેન્ટમાં રાખેલ છે તેવું કારણ આપી વળતર ન ચૂકવવું અન્યાયી છે તેવી દલીલ રજૂ કરાઈ હતી. રાજ્ય ગ્રાહક કોર્ટના ઇન્ચાર્જ પ્રમુખ એલ.ડી. પટેલે આ દલીલોને માન્ય રાખી નીચલી અદાલતનો હુકમ રદ કર્યો હતો. તેમણે બેંક અને વીમા કંપનીને સંયુક્ત રીતે ફરિયાદીને ₹6,67,627, ફરિયાદ દાખલ થયાના દિવસથી 8 ટકા વ્યાજ સાથે, માનસિક ત્રાસ બદલ ₹25,000 અને ખર્ચ પેટે ₹10,000 બે મહિનામાં ચૂકવવાનો આદેશ આપ્યો હતો. વકીલ દર્શકભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કુલ ₹12 લાખથી વધુ વળતર મળવાપાત્ર થશે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 11:12 am

નખત્રાણા પાસે ટ્રક પાછળ બુલેટ ભટકાયું:અમદાવાદના એક યુવકનું ઘટનાસ્થળે જ મોત, એક ઇજાગ્રસ્ત

કચ્છના નખત્રાણા નજીક નાગલપર ફાટક પાસે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બુલેટ-ટ્રકની પાછળ અથડાતા અમદાવાદના એક યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં અમદાવાદના 35 વર્ષીય મિતેષ મિતાસ જોશીનું મૃત્યુ થયું હતું. તેઓ બુલેટ ચલાવી રહ્યા હતા અને અમદાવાદથી માતાના મઢ દર્શને જઈ રહ્યા હતા. બુલેટ પર સવાર અન્ય એક વ્યક્તિ, 64 વર્ષીય વનરાજસિંહ કારુભા જાડેજાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે ભુજ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. આ ઘટના નખત્રાણાના નાગલપર ફાટક નજીક બની હતી. બુલેટ મોટરસાયકલ નંબર જીજે 1 NV 3221 આગળ જઈ રહેલા એક ટ્રકની પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 11:04 am

લીમખેડા રાઠોડ પરિવારની દીકરીએ રચ્યો ગૌરવપૂર્ણ ઇતિહાસ:MBBS અભ્યાસ પૂર્ણ કરી નવી પેઢી માટે ઉદાહરણ પૂરું પાડ્યું

દાહોદ સ્થિત ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ માંથી લીમખેડા રાઠોડ પરિવારની પ્રથમ દીકરી ડો. નિહારિકા હસમુખ પ્રજાપતિએ એમબીબીએસની ડિગ્રી સફળતાપૂર્વક મેળવી છે. આ સિદ્ધિ દ્વારા તેમણે પરિવાર અને સમગ્ર લીમખેડા તાલુકાનું નામ રોશન કર્યું છે. ગ્રામ્ય વિસ્તારની દીકરીએ કઠિન તબીબી અભ્યાસ પૂર્ણ કરીને ડોક્ટર બની સમાજસેવાના માર્ગે આગળ વધીને અનેક યુવતીઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની આ સિદ્ધિ લીમખેડા તાલુકાની દીકરીઓ માટે આશા અને આત્મવિશ્વાસનું પ્રતીક બની છે.ડો. નિહારિકાએ વર્ષ 2020માં ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે તબીબી અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો હતો. પાંચ વર્ષના લાંબા અને સંઘર્ષસભર અભ્યાસ દરમિયાન તેમણે અવિરત પરિશ્રમ, શિસ્ત અને આત્મવિશ્વાસ સાથે આ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તેમના માર્ગદર્શકોએ જણાવ્યું હતું કે તેમણે અભ્યાસકાળ દરમિયાન શૈક્ષણિક કુશળતા સાથે દર્દીઓ પ્રત્યે માનવીય સંવેદના અને સેવાભાવનાના ગુણો વિકસાવ્યા છે.પરિવારજનોએ જણાવ્યું હતું કે દીકરીની આ સિદ્ધિ પાછળ માતા-પિતાના ત્યાગ, પરિવારનો સતત સહકાર અને શિક્ષકોના માર્ગદર્શનનો મોટો ફાળો રહ્યો છે. આજના સમયમાં દીકરીઓ પણ તબીબી જેવા ઉચ્ચ ક્ષેત્રોમાં સફળતા મેળવી શકે છે, તેવો સકારાત્મક સંદેશ તેમની સફળતા દ્વારા સમાજ સુધી પહોંચ્યો છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિના અવસરે દાહોદ સ્થિત ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે વર્ષ 2020ની બેચના વિદ્યાર્થીઓ માટે ત્રીજો ગ્રેજ્યુએશન સમારોહ યોજાયો હતો. તારીખ 26 ડિસેમ્બર 2025ના રોજ યોજાયેલા આ સમારોહમાં પ્રથમ તબક્કે ઝાયડસ હોસ્પિટલ પરિસરમાં કાર્યક્રમો યોજાયા હતા, ત્યારબાદ ઝાયડસ મેડિકલ કોલેજના પરિસરમાં મુખ્ય સમારોહ યોજાઈ ડિગ્રી વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ડો. નિહારિકા હસમુખ પ્રજાપતિ સહિત એમબીબીએસ ડિગ્રી પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને વિધિવત રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા. લીમખેડા રાઠોડ પરિવાર માટે દીકરીની આ સિદ્ધિ ગૌરવ અને આનંદની ક્ષણ બની છે. તેમને સગાસંબંધીઓ, મિત્રવર્તુળ અને સમગ્ર વિસ્તાર તરફથી અભિનંદનો તથા શુભેચ્છાઓ મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 11:00 am

વાંકાનેરમાં કામા અશ્વ રમતોત્સવનો બીજો દિવસ:ગઢિયા ડુંગરમાં એમ્બ્યુરન્સ રેસ યોજાઈ, ઘોડા-સવારની કસોટી થઈ

વાંકાનેરમાં ચાલી રહેલા કામા અશ્વ રમતોત્સવના બીજા દિવસે ગઢિયા ડુંગર વિસ્તારમાં એમ્બ્યુરન્સ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેસમાં 25 જેટલા ઘોડેસવારોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ઘોડા અને ઘોડેસવાર બંનેની કસોટી થાય છે. મોરબી જિલ્લાના વાંકાનેર શહેરના રણજીત વિલા પેલેસ નજીકના ગ્રાઉન્ડમાં ગઈકાલથી આ અશ્વ રમતોત્સવ શરૂ થયો છે. ગઈકાલે રાજ્યપાલ, કેબિનેટ મંત્રી, રાજ્ય મંત્રી, સાંસદ અને ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે સવારે 7 વાગ્યે કાઠિયાવાડી, મારવાડી અને કચ્છી ઘોડાઓ માટે એમ્બ્યુરન્સ રેસ શરૂ થઈ હતી. આ રેસ રણજીત વિલા પેલેસથી શરૂ થઈ ગઢિયા ડુંગરમાં 20 કિલોમીટર ફરીને ત્યાં જ પૂર્ણ થઈ હતી. ગુજરાત કામા હોર્સ સોસાયટીના સભ્ય શિવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સામાન્ય રેસથી વિપરીત, એમ્બ્યુરન્સ રેસમાં માત્ર ઝડપ જ નહીં, પરંતુ ઘોડા અને ઘોડેસવારની સહનશક્તિ અને ક્ષમતાની પણ ચકાસણી થાય છે. ઘોડેસવારો ઘોડાઓને લઈને ડુંગરાળ અને પથરાળ પ્રદેશમાંથી પસાર થાય છે. પરત ફર્યા બાદ પશુચિકિત્સકો દ્વારા ઘોડાના હૃદયના ધબકારા, હલનચલન સહિતની તમામ બાબતોનું પરીક્ષણ કરવામાં આવે છે. આ પરીક્ષણ બાદ જ વિજેતા ઘોડા અને ઘોડેસવારના નામ જાહેર કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 10:58 am

પોરબંદરમાં રાજાશાહી સમયના જર્જરિત તાકનો બીમ તૂટ્યો:માણેક ચોકમાં ઘટના CCTVમાં કેદ, સદનસીબે જાનહાનિ ટળી

પોરબંદરના વ્યસ્ત માણેક ચોક વિસ્તારમાં રાજાશાહી સમયના એક જર્જરિત તાકનો લાકડાનો બીમ અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓના જણાવ્યા અનુસાર, આ તાક રાજાશાહી સમયનો છે અને લાંબા સમયથી તેની હાલત અત્યંત જર્જરિત હતી. શહેરીજનોએ આ જર્જરિત તાકના સમારકામ માટે પોરબંદર મહાનગરપાલિકાને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. તેમ છતાં, મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. બીમ તૂટ્યો તે સમયે આસપાસથી પસાર થતા લોકોનો આબાદ બચાવ થયો હતો. આ વિસ્તાર સામાન્ય રીતે ભારે ભીડવાળો રહે છે અને લોકો તેમજ વાહનોની સતત અવરજવર હોય છે. જો આ ઘટના વ્યસ્ત ટ્રાફિકના સમયે બની હોત, તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તેવી શક્યતા હતી. આ ઘટનાએ મહાનગરપાલિકાની બેદરકારી સામે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે. આ ચેતવણીરૂપ ઘટના બાદ મહાનગરપાલિકા તાકીદે સમારકામ અને સુરક્ષાના પગલાં લે છે કે કેમ તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 10:38 am

સુરતનો ‘મોલ ઇન ગાર્ડન’ જોઈ આંખો પહોળી થઈ જશે:6 માળના મોલમાં જાપાનનાં ફૂલો સહિત 4 લાખ છોડનું વાવેતર; અદભુત 'ફ્લાવર વેલી' તમને કાશ્મીર ભુલાવી દેશે

તમે અત્યાર સુધી કાચ અને સિમેન્ટના મોલ જોયા હશે, પણ સુરતના સિટીલાઇટ વિસ્તારમાં જે આકાર પામી રહ્યું છે એ જોઈને તમારી આંખો પહોળી થઈ જશે. આ કોઈ સામાન્ય શોપિંગ સેન્ટર નથી, પણ પૃથ્વી પરનું એવું 'સ્વર્ગ' છે, જ્યાં શોપિંગ કરવા નહીં, પણ શ્વાસ લેવા માટે પડાપડી થશે. સુરતમાં પહેલીવાર ‘ગાર્ડન ઇન મોલ’ નહીં પણ ‘મોલ ઇન ગાર્ડન’નો એવો કન્સેપ્ટ આવ્યો છે, જેણે આખા ગુજરાતમાં ખળભળાટ મચાવી દીધો છે. જાપાનના ફૂલો અને સુરતનું એન્જિનિયરિંગઆ પ્રોજેક્ટની સૌથી ચોંકાવનારી વાત એ છે કે અહીં 4 લાખથી વધુ છોડ લગાવવામાં આવ્યા છે. આ આંકડો સાંભળીને જ લાગે કે જાણે આખું જંગલ મોલની અંદર સમાવી લેવાયું હોય! એટલું જ નહીં, અહીં જોવા મળતી 'વેલી ઓફ ફ્લાવર્સ' માટે ખાસ જાપાનથી રંગબેરંગી ફૂલોના છોડ મંગાવવામાં આવ્યા છે. જ્યારે તમે મોલમાં પ્રવેશશો, ત્યારે તમને એવો અહેસાસ થશે કે તમે સુરતની ગરમીમાં નહીં પણ કાશ્મીરની કોઈ ઠંડી વાદીમાં ઉભા છો. હાઈ-ટેક મશીનોથી ટેમ્પરેચર અને હ્યુમિડિટી કંટ્રોલ આ 6 માળના શોપિંગ પેલેસમાં માત્ર દુકાનો જ નથી. અહીં પગથિયાં આકારના સ્ટેપ ગાર્ડન છે, જ્યાં 20 અલગ-અલગ કલરના ફૂલો ખીલશે. ઇન્ડોર પ્લાન્ટ્સ માટે ખાસ ટ્રોપિકલ ગાર્ડન તૈયાર કરાયું છે, જેમાં ટેમ્પરેચર અને હ્યુમિડિટી કંટ્રોલ કરવા માટે હાઈ-ટેક મશીનો લગાવાયા છે, જેથી વિદેશી ફૂલોને પણ ઘર જેવો અનુભવ થાય. અરે, નવાઈની વાત તો એ છે કે જે બેઝમેન્ટમાં લોકો ગાડી પાર્ક કરીને ઉતાવળે બહાર નીકળી જતા હોય છે, ત્યાં પણ નેચરલ પ્લાન્ટ્સનું કલેક્શન રાખીને તેને જોવાલાયક બનાવવામાં આવ્યું છે. શહેરની નવી ઓળખ બનશે આ પ્રોજેક્ટ4 માળમાં શોપિંગ અને 2 માળમાં ફૂડ-મનોરંજનની સુવિધા તો છે જ, પણ અહીં આવનાર દરેક વ્યક્તિ માટે આકર્ષણનું કેન્દ્ર તો આ 6 પ્રકારના અનોખા ગાર્ડન જ રહેશે. ઓર્કિડ ગાર્ડનથી લઈને ટેરેસ ગાર્ડન સુધી, દરેક જગ્યાએ તમને શુદ્ધ હવા અને કુદરતી સુગંધનો અનુભવ થશે. કોંક્રિટના જંગલ બની ગયેલા શહેરોમાં આ મોલ એક 'ગ્રીન આઇલેન્ડ' સમાન છે. 'આશીર્વાદ હાઈ સ્ટ્રીટ'માં કાશ્મીરની અનુભૂતિ થશેસુરતના ઇતિહાસમાં આ એક એવો પ્રોજેક્ટ છે જે આવનારા સમયમાં શહેરની નવી ઓળખ બનશે. હવે સુરતીઓએ વીકેન્ડમાં ફરવા જવા માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી, કારણ કે 'આશીર્વાદ હાઈ સ્ટ્રીટ'માં જ આખું કાશ્મીર ઉતરી આવ્યું છે. આ ગાર્ડનની અંદર બનેલો મોલ છેઃ મહેન્દ્ર રાઠીમોલના સંચાલક મહેન્દ્ર રાઠીએ જણાવ્યું હતું કે, સુરતના સિટીલાઇટ વિસ્તારમાં ભટાર, ઘોડદોડ રોડ અને વેસુ જેવા મુખ્ય કેન્દ્રોની વચ્ચે ‘આશીર્વાદ હાઈ સ્ટ્રીટ’ નામનો એક અનોખો શોપિંગ મોલ આકાર પામી રહ્યો છે. આ પ્રોજેક્ટ તેના વિશિષ્ટ ‘મોલ ઇન ગાર્ડન’ કન્સેપ્ટને કારણે જાણીતો બન્યો છે. કારણ કે અત્યાર સુધી લોકોએ મોલની અંદર બગીચો જોયો હશે, પરંતુ આ ગાર્ડનની અંદર બનેલો મોલ છે. ‘4 લાખથી વધુ છોડની દેખભાળ માટે 100 માળી’કુલ છ માળની આ ઇમારતમાં ચાર માળ બ્રાન્ડેડ શોરૂમ્સ માટે અને બે માળ ફૂડ કોર્ટ, મલ્ટીપ્લેક્સ, ગેમ ઝોન અને કેફે જેવા મનોરંજન માટે ફાળવવામાં આવ્યા છે. પ્રકૃતિ પ્રેમી એમ.ડી. ગોપાલભાઈના વિઝનથી તૈયાર થયેલા આ મોલમાં કુલ 4 લાખથી વધુ છોડ લગાવવામાં આવ્યા છે. આ ગ્રીન બિલ્ડિંગની જાળવણી માટે 200 લોકોની ટીમ છેલ્લા 6 વર્ષથી મહેનત કરી રહી છે, જેમાં 100 માળી, 50 સિક્યુરિટી અને 50 હાઉસકીપિંગ સ્ટાફનો સમાવેશ થાય છે. ‘સ્ટેપ ગાર્ડન’માં જાપાનના 20 અલગ-અલગ રંગના ફૂલોના છોડ’તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ 6 માળના શોપિંગ પેલેસમાં માત્ર દુકાનો જ નથી. આ મોલની સૌથી મોટી ખાસિયત તેમાં નિર્મિત છ અલગ-અલગ પ્રકારના ગાર્ડન છે. અહીં ‘સ્ટેપ ગાર્ડન’માં જાપાનથી મંગાવવામાં આવેલા ખાસ ‘કેના’ વેરાયટીના 20 અલગ-અલગ રંગના ફૂલોના છોડ જોવા મળે છે. આ ઉપરાંત અહીં ‘વેલી ઓફ ફ્લાવર્સ’, ‘ઓર્કિડ ગાર્ડન’ અને ‘ટેરેસ ગાર્ડન’ની સુંદરતા પણ માણવા મળશે. પર્યાવરણ માટેની પણ એક એળખઇન્ડોર છોડ માટે ખાસ ‘ટ્રોપિકલ ગાર્ડન’ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં અત્યાધુનિક ટેમ્પરેચર અને હ્યુમિડિટી કંટ્રોલ સિસ્ટમ લગાવવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે ,કે અહીં પાર્કિંગ અને બેઝમેન્ટ જેવા વિસ્તારોમાં પણ કુદરતી છોડનું વિશાળ કલેક્શન રાખવામાં આવ્યું છે. ભવિષ્યમાં આ પ્રોજેક્ટ સુરતની એક નવી પર્યાવરણલક્ષી ઓળખ બની રહેશે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 10:20 am

સરીગામમાં ગૌહત્યાનો મામલો:મુસ્લિમ સમાજનો કડક નિર્ણય, ગૌહત્યા કરનારને સમાજમાંથી બાકાત કરાશે

સરીગામમાં ગર્ભવતી ગાયની હત્યાના બનાવ બાદ મુસ્લિમ સમાજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શુક્રવારે સરીગામ પંચાયતમાં યોજાયેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે ગૌહત્યામાં સંડોવાયેલા કોઈપણ મુસ્લિમ વ્યક્તિને સમાજ અને જમાતમાંથી બાકાત કરવામાં આવશે. આ નિર્ણય અનુસાર, જો સરીગામ વિસ્તારમાં કોઈ વ્યક્તિ ગૌહત્યાની પ્રવૃત્તિમાં સામેલ હોવાનું સાબિત થશે અને તે મુસ્લિમ સમાજનો હશે, તો તેને સમાજમાંથી બહાર કાઢવામાં આવશે. આ ઉપરાંત, આવા વ્યક્તિને સરીગામ વિસ્તારમાં રહેવાનો અધિકાર પણ આપવામાં આવશે નહીં. સમાજના આગેવાનોએ જણાવ્યું કે ગૌહત્યા જેવી પ્રવૃત્તિઓથી સમગ્ર સમાજની છબી ખરાબ થાય છે અને કાયદા-વ્યવસ્થાની સ્થિતિ બગડે છે. તેથી, સમાજ પોતાની સામાજિક જવાબદારી નિભાવતા આવા કૃત્યો સામે કડક વલણ અપનાવશે. આ નિર્ણયથી સરીગામ વિસ્તારમાં શાંતિ, સદભાવ અને કાયદાનું પાલન જળવાઈ રહે તેવી સમાજ દ્વારા અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 10:10 am

સુરેન્દ્રનગરના 31 શ્રેષ્ઠ સરપંચોનું સન્માન કરાયું:પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યો બદલ એવોર્ડ અપાયા

સુરેન્દ્રનગર જિલ્લાના 31 શ્રેષ્ઠ સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો. તેમને પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યો બદલ એવોર્ડ આપી બિરદાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ સુરેન્દ્રનગરની પ્રેસિડેન્ટ હોટલ ખાતે યોજાયો હતો. આ સન્માન સમારોહમાં વઢવાણ મત વિસ્તારના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, દસાડા-લખતરના ધારાસભ્ય પી. કે. પરમાર અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હેતલ મોદી, અર્જુનભાઈ ડાંગર, વિપુલભાઈ જોશી અને નિમિષભાઈ ઠક્કર સહિતનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, સરપંચો ગામમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડે છે અને વિકાસના કામો કરે છે. આવા શ્રેષ્ઠ સરપંચોનું અભિવાદન કરવું એટલે આખા ગામનું સન્માન કરવું. દસાડા-લખતરના ધારાસભ્ય પી. કે. પરમારે જણાવ્યું કે, ગામના વિકાસ અને સરકારી યોજનાઓના અમલીકરણમાં ઉત્તમ કામગીરી કરનાર સરપંચોનું સન્માન કરવામાં આવ્યું છે. આ સન્માન અન્ય ગામોના સરપંચોને પણ પ્રેરણા આપશે. એવોર્ડ વિજેતા ખેરવાના યુવા એન્જિનિયર સરપંચ જીગ્નેશ નારણભાઈ રાઠોડે ગુજરાતના છેવાડાના સરપંચોની સારી કામગીરીને બિરદાવવા બદલ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 10:07 am

વૃદ્ધે ખેતીકામ માટે મદદ માગી તો હનીટ્રેપમાં ફસાવ્યા:મહિલાએ વાડીએ કપડાં ઉતારી ખેડૂતને બાથ ભરી, સમાધાન માટે એક કરોડ માગ્યા‎, આટલેથી સંતોષ ન થતા અપહરણ કરી ગોંધી રાખ્યા‎

મોરબીના એક ગામમાં રહેતા એક નિર્દોષ વૃદ્ધ ખેડૂતને ખેતમજૂરી માટે માણસની જરૂરિયાત શું ઊભી થઈ, જાણે મુસીબત સામે ચાલીને આવી હોય તેવો ઘાટ સર્જાયો હતો. ખેતકામ માટે મદદ માંગતા વૃદ્ધને એક ટોળકીએ હનીટ્રેપમાં ફસાવી, વીડિયો ઉતારી અને છેલ્લે અપહરણ કરીને રૂ. 1.14 કરોડની ખંડણી માંગી હતી. જોકે, મોરબી એ-ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 5 આરોપીને રૂ. 51.11 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. ખેતીકામની જરૂરિયાત બની 'ટ્રેપ'મોરબીના એક ગામમાં રહેતા પરબતભાઈ (નામ બદલ્યું છે) નામના ખેડૂતને પોતાની વાડીએ કામ કરવા માટે મજૂરોની જરૂર હતી. આ માટે તેમણે ઓળખીતા પાંચાભાઇ કોળીનો સંપર્ક કર્યો. પાંચાભાઇએ 'ખુશી પટેલ' નામની મહિલા સાથે તેમનો સંપર્ક કરાવ્યો. શરૂઆતમાં આધારકાર્ડ ન હોવાથી પરબતભાઇએ તેને કામે રાખી નહોતી, પરંતુ ખુશી નામની આ મહિલાએ વારંવાર ફોન કરી 'મારે કામની બહુ જરૂર છે' તેમ કહી ખેડૂતનો વિશ્વાસ જીત્યો હતો. વાડીએ 'માયાજાળ' બિછાવી વીડિયો ઉતાર્યાજ્યારે પરબતભાઇ આ મહિલાને વાડીએ લઈ ગયા, ત્યારે પૂર્વનિયોજિત કાવતરા મુજબ મહિલાએ અચાનક પોતાના કપડાં ઉતારી ખેડૂતને બાથ ભરી લીધી હતી. આ જ સમયે અગાઉથી સંતાઈને બેઠેલા અન્ય આરોપીઓ બે કારમાં ત્યાં ધસી આવ્યા હતા. તેમણે આ સ્થિતિના ફોટા અને વીડિયો ઉતારી લીધા અને ખેડૂતને ધમકાવવાનું શરૂ કર્યું કે, જો પૈસા નહીં આપો તો બળાત્કાર અને છેડતીના કેસમાં ફસાવી દઈશું અને વીડિયો વાઇરલ કરી દઈશું. 53.50 લાખ પડાવ્યા છતાં સંતોષ ન થયો ને અપહરણ કર્યુંધમકીઓથી ડરી ગયેલા ખેડૂતે પોતાની આબરૂ બચાવવા ટુકડે-ટુકડે 100 ગ્રામના 4 સોનાના બિસ્કીટ, અઢી તોલાની સોનાની ચેન અને રૂ. 1 લાખ રોકડા એમ કુલ મળીને રૂ. 53.50 લાખ જેવો કિંમતી મુદ્દામાલ આપી દીધો હતો. તેમ છતાં, આરોપીઓની લાલચ ઓછી નહોતી થઈ. તેઓએ બાકીના પૈસા માટે ખેડૂતનું કારમાં અપહરણ કર્યું અને છેક બોટાદ લઈ જઈને ત્યાં ગોંધી રાખ્યા હતા. પાંચ આરોપી જેલના સળિયા પાછળખેડૂતે હિંમત હારીને આખરે મોરબી એ-ડિવિઝન પોલીસના દ્વાર ખખડાવ્યા. પીઆઈ આર.એસ. પટેલ અને પીએસઆઈ જે.સી. ગોહિલની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના દિવસોમાં જ 5 શખસને ઝડપી પાડ્યા છે. કબજે કરેલો મુદ્દામાલ (રૂ. 51.11 લાખ): હજુ કોણ છે ફરાર?પોલીસના જણાવ્યા મુજબ, આ ટોળકીની મુખ્ય સૂત્રધાર ગણાતી મહિલા (ખુશી) તેમજ મનીષ ગારીયા અને રમેશ ઉર્ફે રામાભાઇ હજુ ફરાર છે. તેમને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. આ ઘટનાએ મોરબી પંથકમાં ચકચાર જગાવી છે અને ખેડૂત વર્ગમાં સાવચેતી રાખવા માટે લાલબત્તી સમાન કિસ્સો સાબિત થયો છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 9:50 am

અખબાર વિક્રેતાનું 14 દિવસની સારવાર બાદ મોત:ગાંધીનગર અંડરબ્રિજ પાસે પૂરપાટ આવતી કારે જોરદાર ટક્કર મારી હતી, પોલીસે ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

ગાંધીનગરના સેક્ટર-16 અંડરબ્રિજ પાસે ગત 12મી ડિસેમ્બરના રોજ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા 50 વર્ષીય અખબાર વિક્રેતાનું સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોત થયું છે. મૃતક પેપરનું વિતરણ કરવા નિકળ્યા હતા એ દરમિયાન કારની ટક્કરે આ અકસ્માત સર્જાયો હતો. આ અંગે સેકટર 21 પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. પૂરપાટ આવતા કારચાલકે સાયકલ સવારને ટક્કર મારીગાંધીનગર સેક્ટર-22માં રહેતા અને અખબાર વિતરણનું કામ કરતા પ્રફુલભાઈ શુક્લ ગત 12 ડિસેમ્બરના રોજ સવારે પોતાના નિત્યક્રમ મુજબ સાયકલ પર પેપર નાખવા નીકળ્યા હતા. ત્યારે સેક્ટર-16 અંડરબ્રિજ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી કાર (GJ-18-EB-9225)ના ચાલક યશ સોલંકીએ પ્રફુલભાઈની સાયકલને જોરદાર ટક્કર મારી હતી. 14 દિવસ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ મોતઆ અકસ્માતમાં પ્રફુલભાઈને માથાના ભાગે અને ડાબા પગે ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે તેઓને તાત્કાલિક ગાંધીનગર સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા 14 દિવસથી જીવન મરણ વચ્ચે જોલા ખાતા પ્રફુલભાઈનું ગઈકાલે સારવાર દરમિયાન મોત નીપજ્યું. પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આ અકસ્માત બાદ પ્રફુલભાઈ બેભાન હાલતમાં હોવાથી અને તેમની સારવાર પ્રાથમિકતા હોવાથી અગાઉ પરિવારે પોલીસ ફરિયાદ કરી ન હતી. ત્યારે સારવાર દરમિયાન પ્રફુલ્લભાઈનું મોત થતા તેમના પત્ની રાજેશ્રીબેને ફરિયાદ આપતા પોલીસે કારચાલક યશ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 9:36 am

ઇન્દોરથી અમદાવાદ આવતી લક્ઝરી પલટી, એકનું મોત:દાહોદ નજીક રિવર્સ લેતી વખતે પાછળથી ટ્રકે ટક્કર મારી, 17 મુસાફરો ઇજાગ્રસ્ત

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર દાહોદ નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. દાહોદના જાલત ગામ નજીક એક હોટેલ પરથી રિવર્સ લેતી લક્ઝરી બસને પાછળથી આવતી એક ટ્રકે ટક્કર મારતા એક મુસાફરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 17 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચતા સારવાર અર્થે દાહોદની ઝાયડ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસ પલટી મારી રોડ પર ઘસડાઇઆ ગંભીર અકસ્માત અંગે મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશ પરિવહન નિગમની એક મુસાફર બસ દાહોદના જાલત ગામ પાસે આવેલી અવંતિકા હોટલ પાસે ટર્ન લઈ રહી હતી તે દરમિયાન પાછળથી આવી રહેલા એક ટ્રકે અચાનક ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બસ પલટી મારી રોડ પર ઘસડાતી ગઈ હતી, જેના કારણે સ્થળ પર જ અફરાતફરી મચી ગઈ હતી. એકનું મોત, 17 મુસાફરો ઇજાગ્રસ્તઅકસ્માત સમયે બસમાં મોટી સંખ્યામાં મુસાફરો સવાર હતા. ટ્રકની ટક્કરથી બસના એક ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ દુર્ઘટનામાં બસમાં સવાર એક મુસાફરનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અંદાજે 17 જેટલા મુસાફરોને ગંભીર તેમજ સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના દૃશ્યો જોઈ આસપાસના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. ઇજાગ્રસ્તોને ઝાટડ્સમાં સારવાર અર્થે ખસેડાયાઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ત્યારબાદ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. કેટલાક ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યોઅકસ્માતની માહિતી મળતાની સાથે જ દાહોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પર ટ્રાફિક નિયંત્રણમાં લઈ માર્ગ પર જામ ન સર્જાય તે માટે વ્યવસ્થા ગોઠવી હતી. તેમજ ટ્રક અને બસને રસ્તા પરથી દૂર કરી હાઇવે ફરી શરૂ કરાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બસ ટર્ન લેતી વખતે પાછળથી ટ્રક ચાલકની બેદરકારીના કારણે અકસ્માત થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક બાળકની હાલત ગંભીર: DySPદાહોદ DySP જગદીશ ભંડારીએ જણાવ્યું કે, ઇન્દોરથી અમદાવાદ જતી લક્ઝરી બસને અવંતિકા હોટલ પાસે ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં લક્ઝરી પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું છે. બાકી કેટલાકને ઇજાઓ પહોંચતા દાહોદની ઝાયડ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાં એક બાળકની હાલત થોડી ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને બાકીના લોકોની સ્થિતિ સારી છે. હાલ ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ છે, પોલીસ આગળની તપાસ કરી રહી છે. મારો ભાઇ બસ નીચે દબાયેલો મળ્યો: મૃતકનો ભાઇઅકસ્માતમાં મોતને ભેટેલા મુસાફરના ભાઇ મનીષે જણાવ્યું કે, અમે ભુરા ટાબરાથી 10.40 કલાકે બસમાં બેઠા હતા. બસ હાઇવે પરથી હોટેલ પાસે વળી એ દરમિયાન પાછળથી ટ્રકે ટક્કર મારતા બસ પલટી મારીને ગડબડી ગઇ હતી. જે બાદ અમને કંઇ ખબર ન પડી, મારો ભાઇ ન મળતા અમે તેની શોધખોળ કરી તો એ બસની નીચે દબાયેલો મળ્યો હતો. પોલીસે આગળની તપાસ હાથ ધરીઇન્દોર–અમદાવાદ હાઇવે પર અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોવાને કારણે માર્ગ સલામતી અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પોલીસે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી છે અને ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 9:19 am

પાટણના કતલખાના બંધ કરવા 31 ડિસેમ્બરની મુદત:ચીફ ઓફિસરે વેપારીઓને નિયમો પાળવા અને વૈકલ્પિક વ્યવસ્થા સૂચવી

પાટણ શહેરના ખાટકીવાડામાં આવેલા 50 જેટલા કતલખાના અને મટન શોપને 31 ડિસેમ્બર સુધીમાં બંધ કરી સીલ કરવાની મુદત નજીક આવી રહી છે. આ કાર્યવાહી ટાળવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા માટે સમય આપવા વેપારીઓએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. ત્યારબાદ વેપારીઓએ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબહેન ઠાકર સમક્ષ પણ રજૂઆત કરી વધુ સમય માંગ્યો હતો. વેપારીઓએ 2021ની કતલખાના સંબંધિત PIL અંગે હાઈકોર્ટનો વચગાળાનો હુકમ ચીફ ઓફિસરને વંચાવ્યો હતો, જેનો તેમણે અભ્યાસ કર્યો. ચીફ ઓફિસરે વેપારીઓ અને સંચાલકોને કેટલાક મહત્વના સૂચનો કર્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે, 31 ડિસેમ્બર બપોરે 11 વાગ્યા સુધી વેપારીઓ તરફથી કોઈ જવાબની રાહ જોયા બાદ તેઓ પોતાની કાર્યવાહી કરશે. ચર્ચા દરમિયાન વેપારીઓએ નિયમોનું પાલન ન કરતા હોવાનું સ્વીકાર્યું હતું અને હાલની જગ્યાના વિકલ્પમાં અન્ય જગ્યા ફાળવવા તથા એકમો ખસેડવા માટે સમય માંગ્યો હતો. ચીફ ઓફિસરે વેપારીઓને જણાવ્યું કે, વેપાર કરવો એ તેમની પ્રાથમિકતા છે, પરંતુ અદાલતના હુકમનું પાલન કરવું એ તેમની ફરજ છે. તેમણે નિયમ પ્રમાણે વર્તવા પર ભાર મૂક્યો. કતલખાનાના વેપારીઓને સૂચનો આપતા તેમણે કહ્યું કે, તબીબી તપાસ વિના કટિંગ કરાતા પશુઓનું લોહી ભૂગર્ભ ગટરમાં વહેવડાવાય છે. આ રક્તયુક્ત પાણી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જવાથી પ્રદૂષણ અને રોગયુક્ત વાતાવરણ સર્જાઈ શકે છે. તેથી, આ રક્તયુક્ત પાણી ગટરમાં નહિં, પરંતુ ખાળકુવા બનાવી તેમાં નાખવું જોઈએ. તેમણે કપાયેલા પશુઓના વેસ્ટ ભાગોના નિકાલ માટે ઇન્સિનેટર (પશુઓને બાળવા માટેનું મશીન) વસાવવાનું સૂચન કર્યું. વેપારીઓ સ્લોટિંગ બંધ કરીને તૈયાર માંસ લાવીને પણ વેચી શકે છે. વ્યવસાય સ્વચ્છ અને આરોગ્યપ્રદ હોવો જોઈએ તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું. આ ઉપરાંત, વેપારીઓ જમીન માટે કલેક્ટરને મળી શકે છે. તેઓ શહેરની બહાર કોઈ પ્લોટ લઈને ત્યાં એ.સી. માર્કેટ બનાવી શકે છે અથવા પોલ્ટ્રી ફાર્મમાં પણ મકાન બનાવીને વ્યવસાય કરી શકે છે. ચીફ ઓફિસરે નિયમો પ્રમાણે પરમિશન અને એન.ઓ.સી. આપવાની ખાતરી આપી, પરંતુ નિયમોનું પાલન કરવા તાકીદ કરી.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 8:47 am

અમરેલીમાં 31 MOU થયા, 1400થી વધુ લોકોને રોજગારી મળશે:પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને ફ્લેગશીપ ઇવેન્ટ યોજાઈ

અમરેલી જિલ્લામાં રોજગારીના 1400થી વધુ નવા અવસરોનું સર્જન થશે. જિલ્લા પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા ફ્લેગશીપ ઈવેન્ટ-ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉદ્યોગ, રોકાણ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા માટે કુલ રૂ. 908 કરોડથી વધુની રકમના 31 એમ.ઓ.યુ (Memorandum Of Understanding) સાઈન અને એક્સચેન્જ કરવામાં આવ્યા હતા. આ એમ.ઓ.યુ એગ્રો અને ફૂડ, કેમિકલ, એન્જીનિયરીંગ, ટેક્સટાઇલ, પ્લાસ્ટિક અને પાવર સહિતના વિવિધ સેક્ટરમાં થયા છે. આ રોકાણથી જિલ્લામાં ઔદ્યોગિક વિકાસના નવા અધ્યાયનો આરંભ થશે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, એગ્રોથી પાવર સેક્ટર સુધી રૂ.908 કરોડથી વધુના રોકાણથી અમરેલી જિલ્લાનો ઔદ્યોગિક વિકાસ વેગવંતો બનશે. તેમણે ઉમેર્યું કે, ગુજરાત સાથે વિશ્વના ઉદ્યોગ સાહસિકો કનેક્ટ થતા નોલેજ અને ટેક્નોલોજી શેરિંગના કારણે રાજ્ય ‘બિઝનેસ ફ્રેન્ડલી સ્ટેટ’ તરીકે વિશ્વમાં ખ્યાતિ પામ્યું છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આપણી વાઇબ્રન્ટ સમિટ ભારતના અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બની છે. રાજ્યમાં મજબૂત બિઝનેસ ઈકોસિસ્ટમ ડેવલપ થતા સર્વાંગી વિકાસના નવા આયામો સર થયા છે. નવ યુવાનો સ્ટાર્ટઅપ ક્ષેત્રે સાહસી બન્યા તે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાને આભારી છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું દ્રષ્ટિવંત નેતૃત્વ અને “સકારાત્મક પહેલ, સકારાત્મક વિચારસરણી”ના કારણે ગુજરાત, વિકસિત ભારત@2047 ના સોનેરી સંકલ્પને મજબૂતી સાથે આગળ ધપાવી રહ્યું છે. રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું જિલ્લાને પોતાની જી.આઈ.ડી.સી મળે તે દિશામાં સકારાત્મક પ્રયત્નો શરૂ છે. જિલ્લો ઉદ્યોગ ક્ષેત્રે આગળ ધપે તે દિશામાં અમે સતત સક્રીય છે. તેમણે અમરેલી જિલ્લાને ડાયમંડહબ બનાવવાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું આપણે પણ અહીં હીરાના કટિંગ અને પોલીશીંગ માટે નવી તકો શોધી શકીએ છીએ અમરેલી જિલ્લામાં વિન્ડ સાથે સોલાર એનર્જી ક્ષેત્રે પણ પ્રગતિ શક્ય બને તે દિશામાં સક્રીયપણે આગળ ધપવું જરૂરી છે. રાજ્ય પણ આજે ગ્રીન એનર્જી ક્ષેત્રે સતત અગ્રેસર છે. કાર્યક્રમ દરમિયાન અધિક ઉદ્યોગ કમિશ્નર આર.એન. ડોડીયાએ 'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ' સફળતાની ૨૫ વર્ષની યાત્રા અને ગુજરાત રાજ્યના વિવિધ અચિવમેન્ટ માઇલસ્ટોનનો શબ્દસહ ચિતાર રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આજે ગુજરાત ‘બેસ્ટ બિઝનેસ ફ્રેન્ડલી સ્ટેટ’ તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામ્યું છે. વર્ષ 2047માં 'વિકસિત ભારત'ના નિર્માણમાં ગુજરાત મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. ભારત આગામી સમયમાં 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનવા તરફ તેજ ગતિએ આગળ ધપી રહ્યું છે. આ કાર્યક્રમમાં સાંસદ ભરત સુતરીયા, જિલ્લાના ધારાસભ્ય જે.વી.કાકડીયા, જનક તળાવીયા પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં VGRC (વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ) પર AV ફિલ્મની પ્રસ્તુતી કરવામાં આવી હતી. અમરેલીની શીતલ કુલ પ્રોડક્ટ લી. અને રોઝફિન્ચ ફાર્માસ્યુટિકલ પ્રા.લી. કંપનીના મેનેજિંગ ડિરેક્ટરઓએ પોતાના મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગની સફળતાની યાત્રાની સફળગાથા પ્રસ્તુત કરી હતી. ઉપરાંત આઈડિયાઝ ફોર વિકસિત ભારત@2047, MSME's ઉદ્યોગ સાહસિકતા વિષય પર ક્ષેત્ર-વિશિષ્ટ સેમિનાર યોજાયો હતો. અમરેલી જિલ્લાના અગ્રણી ઉદ્યોગકારો અને નિષ્ણાતો વચ્ચે ઓપન હાઉસ ડિસ્કશન સત્ર પણ યોજવામાં આવ્યું હતું. ધારી કૃષિ ઉત્પાદક પ્રોસેસિંગ સહકારી મંડળી લી., અજવા સ્ટીલ એલ.એલ.પી એકમ, હોનેસ્ટ કોટસ્પીન પ્રા.લી., સ્કાયઓન ફૂડ્સ, કસ્વા ઇન્ડસ્ટ્રીઝ, પરફેક્ટ રોટો પોલીમર્સ, મોટા માણસા બ્લેકટ્રેપ બ્લોક-એ સહિતના ઓદ્યોગિક એકમોએ કાર્યક્રમમાં સહભાગી બનીને ફ્લેગશીપ ઈવેન્ટને સફળ બનાવી હતી. કાર્યક્રમ પ્રારંભે જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સ્થળે બિઝનેસ ટુ બિઝનેસ જોડાણની તકો, નિષ્ણાતોના વ્યાખ્યાન અને ઉદ્યોગકારોનું પ્રદર્શન યોજાયું હતું. રાજ્ય સરકારની યોજનાઓ દ્વારા સહાયતા પ્રાપ્ત કરનારા ઉદ્યોગકારો-વેપારી એકમોને મહાનુભાવોના હસ્તે વિવિધ લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જનરલ મેનેજર એસ.બી.ભાટીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. અમરેલી શાંતાબા ગજેરા ઓડિટોરીયમ હોલ ખાતે આયોજિત જિલ્લાની ફ્લેગશીપ ઈવેન્ટ-ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામમાં અમરેલી નગરપાલિકા પ્રમુખ બિપીનભાઈ લીંબાણી, અન્ય હોદ્દેદારો, અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, અધિક ઉદ્યોગ કમિશ્નર આર.એન. ડોડીયા, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પરીમલ પંડ્યા, ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ ભગીરથભાઈ ત્રિવેદી, વેપારી મહામંડળ, ડાયમંડ એસોસિએશન, લઘુ ઉદ્યોગ ભારતી, ઓઈલ મીલ એસોસિએશન પ્રમુખઓ, શીતલ કુલ પ્રોડક્ટ મેનેજિંગ ડિરેક્ટર ભૂપતભાઈ ભુવા સહિતના પદાધિકારીઓઓ,અધિકારીઓ,બહોળી સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 8:45 am

ગીર સોમનાથમાં સુડા જાહેર થયા બાદ બાંધકામ ઠપ્પ:દોઢ વર્ષથી પ્રક્રિયા બંધ, ધારાસભ્યને રજૂઆત કરાઈ

ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ અર્બન ડેવલોપમેન્ટ એરિયા (SUDA) જાહેર થયાને દોઢ વર્ષ વીતી ગયું હોવા છતાં, બાંધકામની તમામ પ્રક્રિયાઓ સંપૂર્ણપણે બંધ છે. આના કારણે જિલ્લાના બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા હજારો લોકોની રોજગારી પર ગંભીર અસર પડી રહી છે. બાંધકામ, સબ-પ્લોટિંગ, બિનખેતી અને નકશા મંજૂરી સહિતની તમામ પ્રક્રિયાઓ દોઢ વર્ષથી અટકી પડી છે. આ સ્થિતિને કારણે નાના વેપારીઓથી માંડીને દૈનિક મજૂરો, બિલ્ડરો અને ડેવલોપરો સુધી સૌને આર્થિક હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ બિલ્ડર એસોસિયેશન અને આગેવાનો દ્વારા આ મુદ્દે મુખ્યમંત્રી સુધી અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. તાજેતરમાં સમગ્ર ગુજરાત માટે લાગુ કરાયેલા એક સરકારી જીઆર (GR)નો એન્જિનિયરો અને નિષ્ણાતો દ્વારા અભ્યાસ કરતાં ગીર સોમનાથ જિલ્લાને અન્યાય થતો હોવાની લાગણી વ્યક્ત થઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા દલાલો, એન્જિનિયરો, નકશા તૈયાર કરનારાઓ અને અન્ય વ્યવસાયિકોએ સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસામાની કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. રજૂઆતકર્તાઓએ જણાવ્યું કે બાંધકામ ક્ષેત્ર બંધ રહેવાથી જિલ્લાનું આર્થિક ચક્ર પણ ખોરવાઈ રહ્યું છે. તેમણે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ તેમજ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ મજબૂત રજૂઆત કરવાની માંગ કરી હતી. ખાસ કરીને, ગીર સોમનાથ જિલ્લાના તમામ છ તાલુકા તેમજ વેરાવળ શહેરના જૂના ગામતળ અને ટીપી વિસ્તારના બાંધકામ નકશા, બિનખેતી અને ઇમ્પેક્ટ ફી સંબંધિત સબમિટ થયેલી ફાઈલોને વહેલી તકે મંજૂરી આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ધારાસભ્ય વિમલભાઈ ચુડાસામાએ તમામની રજૂઆત ગંભીરતાથી સાંભળી હતી. તેમણે જણાવ્યું કે આ કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના વિકાસ અને આર્થિક હિતનો પ્રશ્ન છે. તેમણે રાજકીય ભેદભાવ વગર સૌને સાથે રાખી ઉચ્ચ કક્ષાએ પ્રશ્ન રજૂ કરવા સહકાર આપવાની તૈયારી દર્શાવી. ચુડાસામાએ આગામી સમયમાં સમાજો, જ્ઞાતિ પ્રતિનિધિઓ, બિલ્ડરો, એસોસિયેશન અને આગેવાનો સાથે સંકલન સાધી એક કમિટી રચી આગળની રણનીતિ નક્કી કરવા બેઠક યોજવાની પણ અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 8:43 am

સેમિનાર:શ્રમ સુધારાઓથી ઉદ્યોગ સંચાલકો અને કામદારો વચ્ચે સંબંધો વિકસશે

ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન્સ (ફોકીઆ) દ્વારા “નેક્સ્ટ-જનરેશન લેબર રિફોર્મ્સ ફોર મેન્યુફેક્ચરિંગ 4.0” વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત કરાયેલા ચાર નવા શ્રમ સંહિતાઓ વિશે વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી. મુખ્ય અતિથિ ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ સરકાર દ્વારા લાવવામાં આવેલા શ્રમ સુધારાઓના કારણે ઉદ્યોગ સંચાલકો અને કામદારો વચ્ચે સૌહાદ પૂર્ણ સંબંધોને કારણે ઉત્પાદકતામાં વધારો થશે તેમ જણાવ્યું હતું. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર અને ગ્રામીણ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાએ કચ્છના ઉદ્યોગોમાં નવા શ્રમ સુધારાઓ વિશે જાગૃતિ લાવવામાં ફોકિઆની પહેલની પ્રશંસા પત્ર દ્વારા પાઠવી હતી. ધારાસભ્ય કેશુભાઇ પટેલે કહ્યું હતું કે કચ્છમાં આવેલા ઉદ્યોગો, સરકાર અને સમાજ વચ્ચેના તાલમેલતાના કારણે સારી રીતે કામ કરી શકે છે. સાંસદ વિનોદ ચાવડાએ ઉદ્યોગોને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રોત્સાહન મળી રહેશે તેવી ખાતરી આપી હતી. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ શુભેચ્છાઓ પાઠવી હતી. મનોજ શર્માએ વેતન સંહિતા, 2019 અને વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યપરિસ્થિતિ સંહિતા, 2020 ના સુધારાઓ અને ઔદ્યોગિક સંબંધોમાં સમજ આપી હતી. ઔદ્યોગિક સંબંધો સંહિતા, સામાજિક સુરક્ષા સંહિતા પર વક્તા નરેશ મહેતા દ્વારા વિગતો આપવામાં આવી હતી. સ્વાગત પ્રવચન વેલસ્પનના ડાયરેક્ટર બ્રિગેડીયર કાર્થીકેયને કર્યું હતું. આભાર વિધિ અગ્રોસેલના રુચિર સોમેશ્વર અને એવેરેસ્ટ કાંટો સીલીન્ડર્સના નીતુ શર્માએ કરી હતી. સેમિનારમાં અગ્રોસેલ, આશાપુરા માઈનકેમ, ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન, SNF, વેલસ્પન જેવી કચ્છની અન્ય મોટી ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિત્વ કરતા 80 થી વધુ સહભાગીઓ તેમજ કચ્છની વિવિધ કોલેજો એ ભાગ લીધો હતો. સંચાલન વિપુલ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજન ફોકિઆના મમતા વાસાણી, શિવાની ભગત, વંદના વૈષ્ણવ, જીનીશા સદાણી, ભરત બારોટએ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 6:22 am

ધોળાવીરા ફેસ્ટિવલ–2026’:વૈશ્વિક વીરાસત ધોળાવીરામાં 10 જાન્યુઆરીએ સિંધી–સૂફી અને સંગીતનો થશે ત્રિવેણી સંગમ

ઐતિહાસિક ધોળાવીરા ધરા પર સંગીત અને વારસાનો ભવ્ય મહોત્સવ ‘ધોળાવીરા ફેસ્ટિવલ–2026’ યોજાવા જઈ રહ્યો છે. વિશ્વવિખ્યાત હડપ્પા સંસ્કૃતિના પ્રતિક એવા ધોળાવીરામાં સંગીત, નૃત્ય, તસ્વીર પ્રદર્શન અને લોક સંસ્કૃતિનું અનોખું સંગમ જોવા મળશે. 10 જાન્યુઆરીના ‘ક્રાફટ ઓફ આર્ટ’ દ્વારા દેશ-વિદેશથી આવનારા પ્રવાસીઓને સંગીતના નવા સ્વરો સાથે પરંપરાગત કલાઓને જીવંત બનાવવાનો પ્રયાસ આ આયોજનનો મુખ્ય હેતુ છે. ‘ક્રાફટ ઓફ આર્ટ’ છેલ્લા 17 વર્ષથી સંસ્કૃતિને સંગીત સાથે જોડીને નવી દિશા આપતું આવ્યું છે. આ ફેસ્ટિવલના સ્થાપક અને ડિરેક્ટર બિરવા કુરેશી જણાવે છે કે આજની યુવા પેઢીને ઐતિહાસિક સ્થળો અને પોતાની ધરોહર સાથે ફરી જોડવાનો પ્રયાસ આ કાર્યક્રમ દ્વારા કરવામાં આવી રહ્યો છે. સંગીત અને કલા દ્વારા સંસ્કૃતિને જીવંત રાખવાની આ અનોખી પહેલ છે. આ ફેસ્ટિવલનું મુખ્ય આકર્ષણ ઉસ્તાદ ફઝલ કુરેશી (તબલા)નું પ્રદર્શન રહેશે. તબલા સમ્રાટ ઝાકીર હુસૈનની પરંપરાના વારસદાર છે અને આજે પણ સંગીતમાં નવી શૈલી અને યુગ પ્રવાહ સાથે જોડાયેલા છે. તેમની સાથે ગ્રેમી એવોર્ડ વિજેતા ગણેશ રાજગોપાલન (વાયોલિન), સેલ્વા ગણેશ(કાંજિરા, મૃદંગમ), યુવા વાયોલિનવાદક અક્ષય ગણેશ, તાલ પરંપરાના પ્રતિનિધિ સ્વામિનાથન સેલ્વગણેશ સહિત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારો પોતાની કળાનો પરિચય આપશે. સાથે સાથે કચ્છના લોકગાયક મૂરાલાલા મારવાડા પણ પોતાની આગવી શૈલીમાં સંગીતપ્રેમીઓને મંત્રમુગ્ધ કરશે. ધોળાવીરાના ઉત્ખનન સમયે જેમણે ફોટોગ્રાફી કરી હતી તે લંડનના સર જ્હોન માર્શલના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન યોજાશે. ફકીરાની જતના લોક નૃત્ય અને જેસલમેરના કલાકારો દ્વારા સિંધી સૂફી ગાયકી રજૂ થશે. જાણીતા ફિલ્મ કલાકાર મોહન કપૂર આ સંગીત સમારોહનું સંચાલન કરશે. ધોળાવીરા ખાતે સંગીતના ઉત્સવનું ત્રીજું વર્ષધોળાવીરા ફેસ્ટિવલ–2026 માં સંગીત અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે. ધોળાવીરા ખાતે આ ત્રીજું આયોજન છે. છેલ્લા 17 વર્ષથી સરખેજ રોજા, ભદ્રનો કિલ્લો, રાણી કી વાવ, સૂર્ય મંદિર મોઢેરા, ઈલોરા ગુફાઓ, ચાંપાનેર, હૈદરાબાદ અને ધોળાવીરા જેવી ઐતિહાસિક જગ્યાઓ પર કલાત્મક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ વર્ષે ધોળાવીરા ફેસ્ટિવલમાં વૈશ્વિક સંગીત સાથે કચ્છ અને રાજસ્થાનની લોકસંસ્કૃતિ, નૃત્ય તથા તસ્વીર પ્રદર્શન રજૂ થશે. પ્રવેશ નિઃશુલ્ક રહેશે, પરંતુ બુક માય શૉ પર રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 6:20 am

હવેથી RERAમાં બિલ્ડરો સામે ઓનલાઈન ફરિયાદ કરી શકશો:પઝેશન મોડું મળવા સહિતની આ ફરિયાદો થઈ શકશે, જાણો સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ

રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) દ્વારા ઘર ખરીદનારાઓના હિતમાં નિર્ણય કરાયો છે, જે અંતર્ગત હવે મિલકત ખરીદનારા (ગ્રાહકો) બિલ્ડરો સામે કોઈપણ ક્ષતિ કે અન્યાય બદલ ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે. ખાસ કરીને પઝેશન મોડું મળવું, સ્કીમમાં ફેરફાર અથવા કરાર મુજબની સુવિધાઓ ન મળવી જેવી સમસ્યાઓ માટે હવે ઓફિસના ધક્કા ખાવાને બદલે પોર્ટલ પર સ્ટેપ બાય સ્ટેપ ડિજિટલ પ્રોસેસ દ્વારા ઓથોરિટી સમક્ષ રજૂઆત કરી શકાશે. આ ઓનલાઈન સુવિધાને કારણે ફરિયાદની પ્રક્રિયા વધુ સરળ, પારદર્શક અને ઝડપી બનશે, જેનાથી બિલ્ડરોની મનમાની પર લગામ આવશે અને સામાન્ય નાગરિકોને તેમના હકનું મકાન સમયસર મળી રહે તે માટે GujRERA પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. જાણો સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ કેવી રીતે કરવાની રહેશે. ઘરે બેઠા ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકાશેનવી વ્યવસ્થા મુજબ, ઘર ખરીદદારો હવે RERAના સત્તાવાર પોર્ટલ મારફતે ઘરે બેઠા ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે. ઝડપી નિકાલ માટે ઓનલાઈન ફરિયાદોને પ્રાધાન્ય આપવામાં આવશે. જોકે, ઓનલાઈન ફરિયાદ કર્યા બાદ 7 દિવસમાં તેની ફિઝિકલ કોપી RERA કચેરીમાં જમા કરાવવી ફરજિયાત રહેશે. RERA ડેશબોર્ડ બનશે મુખ્ય પ્લેટફોર્મફરિયાદ નોંધાવતા સમયે પેમેન્ટના પુરાવા, ઘટનાક્રમની વિગતો સહિત તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ફરિયાદની પ્રાથમિક ચકાસણી સીધી RERA સેક્રેટરી સ્તરે થવાથી હવે પ્રક્રિયામાં થતો વિલંબ ઘટશે.ફરિયાદની સ્થિતિ જાણવા માટે RERA ડેશબોર્ડ મુખ્ય પ્લેટફોર્મ રહેશે. સુનાવણીની તારીખ, નોટિસ અને અંતિમ આદેશો તમામ માહિતી ડિજિટલ રીતે ઉપલબ્ધ રહેશે. પ્રથમ નોટિસ બાદ હિતધારકોને નિયમિત ડેશબોર્ડ ચેક કરવો પડશે. ફરિયાદોના બે પ્રકારનવી SOPમાં ફરિયાદોને બે કેટેગરીમાં વહેંચવામાં આવી છે:ફોર્મ A: કબજો મોડો થવો, કરારનો અમલ ન થવો કે રિફંડ જેવી સામાન્ય ફરિયાદોફોર્મ B: માત્ર વળતર (Compensation) સંબંધિત દાવાઓ પોર્ટલ પર રિયલ-ટાઈમ અપડેટ્સ મળશેઆ નવી વ્યવસ્થાથી ઘર ખરીદદારોને રિયલ-ટાઈમ અપડેટ્સ મળશે, જ્યારે બિલ્ડર અને પ્રમોટર્સને તેમના ડેશબોર્ડ પર તરત નોટિસ મળતા તેઓ સમયસર જવાબ આપી શકશે. RERAનું આ પગલું રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિશ્વાસ વધારશે અને લાંબા સમયથી અટકેલી ફરિયાદોના ઝડપી નિકાલમાં મહત્વપૂર્ણ સાબિત થશે. RERAનો અર્થ શું છે? રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી અથવા RERA, રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ 2016 હેઠળ રિયલ એસ્ટેટક્ષેત્રનું નિયમન કરવા અને ઘર ખરીદનારાઓની સમસ્યાઓને સંબોધવા માટે સ્થાપના કરવામાં આવી હતી. RERA એક્ટની સ્થાપના થયાના એક વર્ષ પછી મહારાષ્ટ્રે પણ એનું મહારેરા નામનું સંસ્કરણ બનાવ્યું. એ પછી અન્ય ઘણાં રાજ્યોએ એનું અનુકરણ કર્યું, જેમ કે હિમાચલ પ્રદેશ રેરા, રેરા ચંદીગઢ, ત્રિપુરા રેરા આ સહિતનાં ઘણાં રાજ્યોએ એનું અનુકરણ કર્યું. RERA એક્ટ: RERA મંજૂરી અને એના ફાયદા ઘર લેતાં પહેલાં 5 વાત જાણો RERA નંબર નહીં, 'પ્રમોટર'નો ઈતિહાસ તપાસો રેરા (RERA) કાયદો આવ્યા પછી લોકો પૂછતા થયા છે કે બિલ્ડરનો પ્રોજેક્ટ રજિસ્ટર્ડ છે કે નહીં?. પણ ખાલી આટલું પૂરતું નથી. તમારે રેરાની વેબસાઈટ પર જઈને પ્રોજેક્ટની સાથે 'પ્રમોટર (બિલ્ડર)નું નામ' ચેક કરવું જોઈએ. નોટરાઈઝ્ડ બાનાખત: કાગળનો વાઘ ઘણા લોકો સ્ટેમ્પ ડ્યુટી બચાવવા માટે ₹300 ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ્ડ બાનાખત કરાવી લે છે. જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. રોકડ વ્યવહાર: ₹2 લાખની લિમિટ યાદ રાખો ઘણીવાર બિલ્ડર ટેક્સ બચાવવા માટે રોકડ રકમની માંગણી કરતા હોય છે. પણ સાવધાન! બેંક NOC: છુપાયેલું જોખમ આ સૌથી મહત્વનો મુદ્દો છે. ઘણીવાર બિલ્ડરે આખો પ્રોજેક્ટ અથવા જમીન બેંકમાં ગીરવે મૂકીને કન્સ્ટ્રક્શન લોન લીધી હોય છે. પાયાની પરમિશનઃ NA અને BU મકાન ભલે ગમે એટલું સુંદર મજાનું હોય, પણ જો તે કાયદેસરની જમીન પર ન હોય તો તે ગેરકાયદેસર જ ગણાય.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 6:00 am

રાજકોટમાં 31stની પાર્ટીઓને ટક્કર આપે એવી હનુમાન ચાલીસા યુવા કથા:7 દિવસ ડી.જે.ના તાલે ગૂંજશે “જય શ્રી રામ”, ઘોડા-વિન્ટેજ કાર અને બુલેટ સવારો સાથે નીકળશે પોથીયાત્રા

રાજકોટ શહેરમાં સતત બીજા વર્ષે રેસકોર્સ મેદાનમાં ભવ્ય હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે આજરોજ બપોરે 2 વાગ્યે હાથી, ઘોડા અને વિન્ટેજ કાર સાથે નીકળનારી ભવ્ય પોથીયાત્રાથી શરૂ થશે અને 2 જાન્યુઆરી 2026 સુધી સાળંગપુરધામના સ્વામી હરિપ્રકાશદાસજીના મુખારવિંદથી કથાનું રસપાન કરાવશે. 150 જેટલા યુવા યજમાનો દ્વારા આયોજિત આ કથા દરેક રાજકોટવાસીને યજમાન બનાવવાના ભાવ સાથે યુવાનોમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન કરાવવાના શુભ આશયથી યોજાઈ રહી છે, જ્યાં એકસાથે 50 હજાર લોકો કથા શ્રવણ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, દેશ આખું 31st ડિસેમ્બરના રોજ ન્યુયર પાર્ટીનું સેલિબ્રેશન કરશે જયારે આ સમયે રાજકોટના હજારો યુવાનો હનુમાન કથામાં દાદાના જન્મના વધામણાં કરી હનુમાન ચાલીસાના પાઠ કરશે. રેસકોર્સમાં ડી.જે. અને બેન્ડવાજાના તાલે “જય શ્રી રામ”ના નાદ ગૂંજશેઆજરોજ બપોરે 2 વાગ્યે વિરાણી હાઈસ્કૂલ મેદાનથી અતિ ભવ્ય અને દિવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પોથીયાત્રામાં હાથી, ઘોડા, વિન્ટેજ કાર, નાસિક ઢોલ,અઘોરી નૃત્ય, બાહુબલી હનુમાન, થાર જીપ અને બુલેટ સવારોનું આકર્ષણ રહેશે. આ સાથે નાસિકના ઢોલ-નગારા અને ભારતીય સાંસ્કૃતિક નૃત્યોની ઝલક પણ જામશે. ખાસ હાથીની અંબાડી પોથીયાત્રાની શોભા વધારશે. આ ઉપરાંત 551 બહેનો મસ્તક પર રામચરિતમાનસની પોથી લઇ યાત્રામાં જોડાશે. આ પોથી યાત્રા વિરાણી હાઈસ્કૂલ મેદાનથી શરૂ થઈ યાજ્ઞિક રોડ, ઈમ્પિરિયલ હોટલ થઈને, જિલ્લા પંચાયત ચોક અને કિશાનપરા ચોક થઈને રેસકોર્સ ગ્રાઉન્ડમાં પ્રવેશ પામશે. ડી.જે. અને બેન્ડવાજાના તાલે “જય શ્રી રામ”, “જય હનુમાન”, “જય બજરંગબલી”ના ગગનભેદી નાદ સાથે સમગ્ર શહેર ભક્તિમય બની જશે. દાદાના જન્મદિવસને વધાવવા માટે અત્યારથી યુવાનોમાં અનોખો થનગનાટ 31 ડિસેમ્બરે શ્રી હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં 151 કિલોની કેક, 108 કિલો પુષ્પવર્ષા, ભવ્ય અન્નકૂટ તથા ફૂલ-ફુગ્ગાથી સભામંડપને શોભાવવામાં આવશે. 31મી ડિસેમ્બરની રાત્રે પાશ્ચાત્ય સંસ્કૃતિના બદલે હનુમાન દાદાની આરાધના સાથે યુવાનો નવા વર્ષને વધાવશે એવું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દાદાના જન્મદિવસને વધાવવા માટે અત્યારથી યુવાનોમાં અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે. 2 જાન્યુઆરી, 2026ના રોજ પુર્ણાહુતિના દિવસે હનુમાન દાદાને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે. શહેરના બહેનો પોતાના ઘરેથી અલગ-અલગ વાનગીઓ તૈયાર કરી દાદાને ધરાવશે. આ તમામ વાનગીઓ સ્વયં સેવક ભાઈઓ તથા બહેનો અન્નકૂટ સ્વરૂપે શણગારશે અને પ્રસાદ સ્વરૂપે ભાવિકોને વિતરણ કરવામાં આવશે. 25 હજારથી વધુ સ્વયંસેવકો રહેશે રાત-દિવસ ખડેપગેઆ કથાનું આયોજન સમગ્ર રાજકોટ શહેરના 150 જેટલા યુવા યજમાનો દ્વારા કરવામાં આવ્યું છે અને કથાના આયોજક કોઈ વ્યક્તિ નહિ પરંતુ, દરેક રાજકોટવાસી પોતે છે એવા ભાવ સાથે યુવાનોમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન કરાવવાના શુભ આશયથી સતત બીજા વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા દરરોજ એક સાથે 50,000 લોકો બેસી અને કથા શ્રવણ કરી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમને સ્થળ પર જ પાણી અને ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ માટે 2500થી વધુ સ્વયં સેવકો જહેમત ઉઠાવી રહ્યા છે. 5 લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરવાનું લક્ષ્યસ્વયંસેવક ભાઈઓ-બહેનો દ્વારા 5 લાખ પ્રસાદની કીટ તૈયાર કરવામાં આવી છે. કથા સાંભળવા આવતા તમામ ભાવિક ભક્તોને પ્રસાદ મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. યુવા કથા સમિતિ દ્વારા 5 લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ સાથે કથા સાંભળવા આવતા તમામ લોકોને જગ્યા પર જ પાણી મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. કથામાં આવવા માટે રેસકોર્સ મેદાનમાં ચાર પ્રવેશ દ્વાર રાખવામાં આવ્યા છે અને વિશાળ પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેથી, કથા શ્રવણ માટે આવતા ભક્તોને કોઈ પણ અડચણ ઉભી ન થાત તે માટે સ્વયંસેવકો દ્વારા ખાસ કાળજી પૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. 120 ફૂટની LED અને 6D સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થાઆ વર્ષે ખાસ કથા સ્થળ ઉપર 52 ફૂટ ઊંચાઈ ધરાવતું મંદિર બનાવવામાં આવ્યું છે જેમાં સાળંગપુર મંદિરમાં દાદાની જે પ્રતિમા છે તેવી આબેહૂબ પ્રતિમા અહીંયા ગઈકાલે શુક્રવારે સાંજે પ્રાણ પ્રતિષ્ઠા સાથે મુકવામાં આવી હતી. કથાનું શ્રવણ કરવા આવતા ભાવિક ભક્તો દાદાના દિવ્ય દર્શનનો લ્હાવો પણ લઇ શકશે. આ ઉપરાંત 120 ફૂટની વિશાળ મલ્ટીમીડિયા LED સ્ક્રીન અને ત્રણ લાખ વોટની અત્યાધુનિક 6D સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે. દરરોજ રાત્રે 7:30થી 11:30 કલાક સુધી કથા ચાલશે31st ડિસેમ્બરના રોજ જયારે દેશ આ ન્યુયર પાર્ટી ઉજવણી કરતું હશે ત્યારે હજારો લોકો રાજકોટમાં 31 ડિસેમ્બરના રોજ હનુમાનચાલીસાના પાઠ સાથે દાદાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરશે. આ કથા કોઈ ટ્રસ્ટ કે સંસ્થા દ્વારા નહીં પણ સમગ્ર રાજકોટવાસીઓ દ્વારા થઈ રહી છે. આ કથા આજરોજ 27 ડિસેમ્બરથી શરૂ કરી 2 જાન્યુઆરી 2026 સુધી દરરોજ રાત્રે 7:30થી 11:30 કલાક સુધી ચાલશે. કથાના આયોજન માટે મુખ્ય 150 યજમાનો નક્કી કરાયાડો. ભરતભાઈ પાનેલીયાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં સતત બીજા વર્ષે હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનું રસપાન સાળંગપુરધામના સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા કરાવવામાં આવનાર છે. રેસકોર્સ મેદાનમાં એક સાથે 50,000 લોકો એકસાથે બેસી અને કથાનું શ્રવણ કરી શકે એવું આયોજન કરવામાં આવ્યું છે. કથામાં આવતા દરેક લોકો ખુરશીમાં જ બેસી અને કથા શ્રવણ કરી શકશે અને તેઓને સ્થળ પર જ પાણી તેમજ ફૂડ પેકેટની વ્યવસ્થા કરી આપવામાં આવશે. યુવા કથાના આયોજન માટે મુખ્ય 150 યજમાનો નક્કી કરવામાં આવ્યા છે અને 2500 જેટલા સ્વયં સેવકો સાથે મળી કથાના આયોજનને ભવ્યાતિભવ્ય બનાવવા રાત દિવસ મહેનત કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 6:00 am

અધિકારીઓની મનમાની, ગેરવર્તનનો બોલતો પુરાવો:32 વર્ષમાં માનવ અધિકાર હનનના 23 લાખ કેસ નોંધાયા, 263 કરોડથી વધુનું વળતર ચૂકવવું પડ્યું

સરકારી અધિકારીઓની આપખુદશાહી, દાદાગીરી અને ગેરવર્તનના કિસ્સા ઘણીવાર સામે આવતા હોય છે. પછી તે પોલીસ વિભાગના અધિકારી હોય કે પછી વહીવટી કામ સાથે જોડાયેલા હોય. આવા કિસ્સામાં શું કરવું? ક્યારેક એવું પણ બને કે નિર્દોષ વ્યક્તિ ભોગ બને પછી તેને ખબર જ ન હોય કે ફરિયાદ ક્યાં કરવી અને કેવી રીતે ન્યાય મેળવવો. પરંતુ કેન્દ્ર અને રાજ્ય સ્તરે માનવ અધિકાર આયોગ આવા કિસ્સામાં પગલાં લઈ શકે છે. જેમાં પીડિત વ્યક્તિ કે તેના પરિવારને ન્યાય મળવાની સાથે આર્થિક વળતર પણ અપાવવાની સત્તા આયોગ ધરાવે છે. કેટલીકવાર આયોગ સુઓમોટો લઈને પણ કાર્યવાહી કરે છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સ્થાપના વર્ષ 1993માં થઈ ત્યારથી ઓક્ટોબર 2025 સુધીમાં એટલે કે છેલ્લા 32 વર્ષોમાં આયોગે કુલ 23,79,043 કેસો નોંધ્યા છે. જેમાંથી 2993 કેસમાં આયોગે સુઓમોટો અંતર્ગત કાર્યવાહી કરી છે. માનવ અધિકાર ભંગના 8,924 કિસ્સાઓમાં આયોગ દ્વારા અત્યાર સુધીમાં કુલ 263 કરોડથી વધુનું વળતર ચૂકવવાની ભલામણ કરવામાં આવી છે. આજે વાંચો કેટલાક એવા કિસ્સા જેમાં માનવ અધિકાર આયોગ સમક્ષ ફરિયાદ થઈ અને અધિકારીઓ દોડતા થઈ ગયા. જેનું પરિણામ એવું આવ્યું કે અંતે પીડિતોને લાખો રૂપિયા વળતર પેટે આપવા પડ્યા, અધિકારીઓ સામે પગલાં લેવાયા અને પીડિતોને કાયદાકીય રીતે ન્યાય પણ મળ્યો. 26 ઓગસ્ટ, 2018રવિવારનો દિવસ હતો. ઢળતી સાંજે અમદાવાદનો ઓઢવ વિસ્તાર લોકોની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો. શિવમ ફ્લેટ નામની એક સોસાયટીમાં પાંચ માળના બે ટાવર ધડાકાભેર તુટી પડ્યા અને પળવારમાં અફરાતફરી મચી ગઈ. થોડા જ સમયમાં ફાયરબ્રિગેડની ગાડીઓ અને પોલીસની ટીમ આવી, રેસ્ક્યુ ઓપરેશન આખી રાત ચાલ્યું. આ દુર્ઘટનામાં 1 વ્યક્તિનું મોત થયું હતું અને 5 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. દરવખતની જેમ દુર્ઘટના બાદ મહાનગરપાલિકાએ તાત્કાલિક નિર્ણયો લીધા અને આખી સોસાયટી એક જ દિવસમાં ખાલી કરી દેવાનો આદેશ આપી દીધો. આમ, ગણતરીના કલાકોમાં જ 1345 લોકો બેઘર થઈ ગયા. તેમના રહેવા માટે મનપા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવી હોવાના આક્ષેપ થયા. એટલે માનવ અધિકાર માટે લડત ચલાવતા કાર્યકર કાંતિલાલ પરમારે નેશનલ હ્યુમન રાઇટ કમિશનના ચેરપર્સન સમક્ષ એક મહિનામાં લેખિત ફરિયાદ કરી અને પછી તો અધિકારીઓની દોડધામ શરૂ થઈ ગઈ. રાષ્ટ્રીય માનવ અધિકારમાં ફરિયાદ થતાં અધિકારીઓ દોડતા થયાઆ મકાને 19 વર્ષ પહેલા સરકારી સ્કીમ હેઠળ બનાવીને ગરીબોને આપવામાં આવ્યા હતા. એટલે સવાલોના ઘેરામાં મહાનગરપાલિકાથી લઈને એન્જિનિયરો પણ આવ્યા. કાંતિલાલ પરમારે માગ કરી કે સરકાર બેઘર લોકોનું પુર્નવસનની વ્યવસ્થા કરે, બિલ્ડીંગ તૂટી પડવાના કારણે મૃત્યુ પામેલ વ્યક્તિના કુટુંબને એક કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે અને ઇજાગ્રસ્ત વ્યક્તિઓને બે લાખનું વળતર આપો. એટલું જ નહીં આવાસ યોજનામાં જે તે વખતે કામ કરનાર કોન્ટ્રાકટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયર સામે નબળી કામગીરી અને હલકી કક્ષાનું મટિરિયલ વાપરવા બાબતે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ FIR કરવામાં આવે. કાંતિલાલ પરમારની આ અરજી પર રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે અમદાવાદ મહાનગરપાલિકાને કમિશનરને નોટિસ પાઠવી હતી. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કાંતિલાલ પરમારે કહ્યું, શિવમ ફ્લેટમાં કુલ 8 ટાવર વિશ્વબેંકની મદદથી અમદાવાદ મહાનગરપાલિકાએ બનાવ્યા હતા. જેમાંથી બે ટાવર પડી ગયા હતા. પછી મહાનગરપાલિકાએ નવા મકાન બનાવી આપવાની હૈયાધારણા આપી હતી. પહેલી વખતે સરકારે 1142 મકાનોનું બજેટ બનાવ્યું હતું. પરંતુ તે અપૂરતું હોવાથી કેન્સલ થયું હતું. તેમણે વધુમાં જણાવ્યું, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી એક બેઠકમાં આ ફ્લેટ માટે 350 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર થયું હતું. જેના પરિણામે 2024માં 1142 પરિવારોને મકાનો મળ્યા. શિવમ ફ્લેટમાં રહેતા અને મકાન માટે લડત લડનારા સામાજિક કાર્યકર હેમાબેન સોલંકીએ જણાવ્યું, અમારા મકાન તુટી પડ્યા બાદ અમે સરકારને અનેક રજૂઆત કરી હતી. સરકારે અમને કહ્યું કે તમે તો ભાડૂઆત કહેવાઓ એટલે તમને અત્યારે અમે મકાન આપી શકીએ નહીં. વધુ એક કિસ્સો યાદ કરતા કાંતિલાલ પરમારે કહ્યું, હું અમરેલીમાં 1998માં કામ કરતો હતો. ત્યારે એક ગામમાં દલિત સમાજનો બહિષ્કાર થયો હતો. ત્યારે મેં માનવ અધિકાર ભંગની ફરિયાદ દિલ્હીમાં માનવ અધિકાર પંચ સમક્ષ કરી હતી. 1998થી માનવ અધિકાર માટે કામ કરું છું. અત્યાર સુધીમાં 5 હજાર કરતા વધારે ફરિયાદો દાખલ કરેલી છે અને 500 કરોડ રૂપિયા કરતા વધારે રકમ વળતર રૂપે અપાવી છે. સિનિયર એડવોકેટ ડૉ.રાજેન્દ્ર આર.શુક્લ 2003થી ગુજરાતમાં યોગક્ષેમ માનવ ગૌરવ સંસ્થાન ચલાવે છે. જે માનવ અધિકારી માટે કામ કરે છે. અમે તેમની સાથે પણ આ મુદ્દે વાત કરી. તેમણે માનવ અધિકાર આયોગ સમક્ષ જતા કેસમાં સિક્કાની બે બાજુ કેવી હોય છે તેના પર પ્રકાશ પાડ્યો. થોડા વર્ષ પહેલાંનો એક કેસ યાદ કરતા ડૉ.રાજેન્દ્ર આર. શુક્લએ કહ્યું, એક દેવીપૂજક મહિલાનો જજની પત્ની સાથે કોઈક બાબતે ઝઘડો થયો હતો. ત્યાર બાદ પોલીસે દેવીપૂજક મહિલાની ધરપકડ કરી અને તેમને 45 દિવસ સુધી જેલમાં પૂરી રાખ્યા હતા. આ કેસ અમારા ધ્યાનમાં આવ્યો એટલે અમે લડત લડી અને જેલમાંથી છોડાવ્યા. અમે સરકાર પાસેથી 40 કે 45 હજાર રૂપિયાનું વળતર પણ અપાવ્યું હતું. કારણ કે મહિલાની અટકાયત ગેરકાયદે કરવામાં આવી હતી. હકીકતમાં એ કિસ્સામાં અટકાયતની જોગવાઈ જ નથી. બોમ્બે પોલીસ એક્ટની કલમ હેઠળ એ મહિલાને 50 કે 200 રૂપિયાનો દંડ કરીને મામલો પૂરો કરી દેવા જેવો હતો. છતાં પોલીસે એ મહિલા સાથે આવું વર્તન કર્યું હતું. તમે જોયું હશે કે કોઈપણ ચર્ચાસ્પદ ગુનો બને એટલે પોલીસ આરોપીઓના વરઘોડા કાઢે છે. ભૂતકાળમાં પોલીસે આરોપીઓને જાહેરમાં માર માર્યો હોવાના પણ કેટલાક બનાવો બન્યા છે. ડૉ.રાજેન્દ્ર આર. શુક્લએ આવા કેસ મુદ્દે જણાવ્યું, મોટાભાગના લોકો પોતાના હક માટે બેદરકાર છે. પોલીસ આરોપીઓને મારે છે અને વરઘોડા કાઢે છે. જ્યુડિશિયલ પ્રોસેસમાં તેને રિકન્ટ્રકશન ગણાવવામાં આવે છે. હકીકતમાં માનવ અધિકાર આયોગને સજા કરવાની કોઇ સત્તા નથી. તે માત્ર દંડ કરી શકે અને ખોટું કર્યું હોય તો ખાતાકીય પગલાં ભરાવી શકે. એટલે આયોગની ઘણી મર્યાદા છે. જ્યારે આયોગ કે માનવ અધિકાર માટે લડતી સંસ્થાઓને ફરિયાદ મળે ત્યારે કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે પોલીસ અધિકારીએ વળતર ચૂકવવું પડ્યુંપોલીસના વર્તનનો જ એક કેસ યાદ કરતા ડૉ.રાજેન્દ્ર આર.શુક્લએ કહ્યું, એક કિસ્સો પંકજ શર્માનો હતો, જેને એલિસબ્રિજ પોલીસ સ્ટેશન હેઠળની છડાવાડ પોલીસ ચોકીમાં થાંભલા સાથે બાંધીને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. આ અત્યાચારને કારણે તેનું પેન્ટ ફાટી ગયું હતું અને શરીરની ચામડી પણ ઉતરી ગઈ હતી. તે સમયે અમદાવાદના ડેપ્યુટી પોલીસ કમિશનર પી.સી. ઠાકુર હતા. આ મામલે જવાબદાર PSI સોલંકીની બદલી કરવામાં આવી હતી અને વળતર પણ ચૂકવવું પડ્યું હતું. આ કેસમાં અમારી જીત થઈ હતી અને અમે સાબિત કર્યું હતું કે રજૂ કરાયેલા ચેક ખોટા હતા. જો કે એવું નથી કે દરવખતે ફરિયાદ કરનાર માત્ર ન્યાય જ ઝંખતો હોય, કેટલાક કિસ્સામાં એવું પણ બને છે કે દયા દાખવીને સામાજિક સંસ્થાઓ માનવ અધિકાર આયોગ સમક્ષ ફરિયાદ કરે છે અને છેલ્લે ફરિયાદી જ ફરી જાય છે. આવા જ એક કેસનો ઉલ્લેખ કરતા ડૉ.શુક્લએ કહ્યું, મહેસાણા પાસેના લાંઘણજ ગામમાં બહુચર માતાના મંદિરનો કૂકડો ચોરી થવાની ફરિયાદના આધારે બે ચૌધરી મિત્રોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના મારને કારણે તેમાંથી એક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે બીજો મિત્ર જીવિત હોવા છતાં પોલીસ સાથે મળી ગયો હોય તેવું જણાયું હતું. કદાચ કોઈ ગોઠવણ થઈ હોવાને કારણે તેણે યોગ્ય જુબાની આપી નહીં. મૃતકની પત્ની અને બાળકો સાથે પણ કોઈ વ્યવહાર થઈ ગયો હોવાથી કોઈએ લડત આપી નહીં. તેમણે આગળ જણાવ્યું, અમે આ મામલે હાઈકોર્ટ સુધી ગયા હતા. પરંતુ મારો અનુભવ કહે છે કે અંતે લોકો એવું વિચારે છે કે 'મરનાર તો મરી ગયો, હવે આપણે પૈસા લઈ લઈએ.' આમાં વાંક સગાં-વ્હાલાંઓનો પણ છે. પોલીસના મારથી વ્યક્તિનું મોત થયું હોવા છતાં આખો કેસ દબાવી દેવામાં આવ્યો અને અમે નિષ્ફળ રહ્યા. માનવ અધિકારના ક્ષેત્રમાં એક મોટી સમસ્યા એ છે કે અહીં મજબૂત, નિષ્ઠાવાન અને પ્રામાણિકપણે લડવાવાળા લોકોનો અભાવ છે. ‘જેનું મૃત્યુ થયું છે તે તો જતો રહ્યો, પણ હવે આ બાબતે પરિવાર સેટિંગ કરી લે એ ખોટું છે. આવા કિસ્સાઓમાં સરકાર કે પોલીસના વાંકની સાથે પીડિત પક્ષનો પણ સરખો જ વાંક છે. કાયદાકીય ભાષામાં જેને આપણે વિક્ટીમ કહીએ છીએ તે વ્યક્તિ તો મૃત્યુ પામી છે. પરંતુ તેના પરિવારજનો પણ ઘણીવાર નૈતિક રીતે નબળા સાબિત થાય છે. તેઓ ન્યાય માટે લડવાને બદલે સમાધાન કરીને પૈસા ભેગા કરવામાં વધુ રસ દાખવે છે.’ જ્યારે નાગરિકોના મૂળભૂત હકો અને અધિકારોનું ઉલ્લંઘન થતું હોય ત્યારે દેશમાં 'રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ' અને ગુજરાતમાં 'રાજ્ય માનવ અધિકાર આયોગ' કામ કરે છે. આ ઉપરાંત, જિલ્લા કક્ષાએ પણ 'માનવ અધિકાર અદાલતો' હોય છે, જેના અધ્યક્ષ તરીકે ડિસ્ટ્રિક્ટ જજ સેવા આપે છે. આ વ્યવસ્થા હેઠળ માનવ અધિકાર ભંગની ફરિયાદ વિવિધ જગ્યાએ કરી શકાય છે. જ્યારે કોઈ પણ બંધારણીય હક કે માનવીય અધિકારનો ભંગ થાય ત્યારે માત્ર એક સામાન્ય પોસ્ટકાર્ડ લખીને અથવા પિટિશન દ્વારા રજૂઆત કરી શકાય છે. એટલું જ નહીં, સામાન્ય ચીઠ્ઠી, ટેલિફોન દ્વારા વર્ધી કે ઓનલાઇન અરજીના માધ્યમથી પણ ફરિયાદ નોંધાવી શકાય છે. જો કોઈ વ્યક્તિને જાણ ન હોય કે તેના માનવ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, તો અન્ય કોઈ પણ જાગૃત નાગરિક તે વ્યક્તિ વતી ઈ-મેઈલ, ટ્વીટ કે ટપાલ દ્વારા માનવ અધિકાર આયોગમાં પિટિશન ફાઈલ કરી શકે છે. સુઓમોટો કેસોની સંખ્યા દર વર્ષે અલગ-અલગ કારણોસર બદલાતી રહે છે, જેમાં મુખ્યત્વે મીડિયા રિપોર્ટ્સ અને જાહેર માધ્યમોમાં ચર્ચાયેલી ઘટનાઓ આધારભૂત બને છે. સુઓમોટો કેસોમાં ઉત્તરપ્રદેશ પહેલાં નંબરે આવે છે, જ્યાં અત્યાર સુધી 544 કેસો નોંધવામાં આવ્યા છે. ત્યાર બાદ 541 કેસો સાથે દિલ્હી બીજા ક્રમે છે. જ્યારે ગુજરાતમાં 1993થી 2025 દરમિયાન કુલ 67 સુઓમોટો કેસો નોંધાયા છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ કુલ 2,993 સુઓમોટો કેસને 30 વિવિધ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે. વર્ષ 2000 દરમિયાન સૌથી વધુ 260 સુઓ મોટો કેસો નોંધાયા હતા, જેની સરખામણીએ વર્ષ 2025માં અત્યાર સુધીમાં 108 કેસો નોંધાયા છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 6:00 am

લોથલમાં તમે પાણીમાં ફરી શકશો:સબમરીનથી દરિયાના પેટાળમાં ગયા હોવાની ફીલ થશે, જુઓ PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટનો તમે ના જોયેલો ડ્રોન વીડિયો

લોથલ. ઐતિહાસિક સિંધુ ખીણ સંસ્કૃતિનું મુખ્ય વેપાર કેન્દ્ર. અમદાવાદથી 75 કિમી દૂર આ નગરીમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં ભારતનો ભવ્ય દરિયાઈ વારસો બતાવવામાં આવશે. 375 એકર જમીનમાં આકાર લઇ રહેલા આ પ્રોજેક્ટ પાછળ 4 હજાર કરોડથી વધુનો ખર્ચ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટનું ત્રણ ફેઝમાં કામ ચાલી રહ્યું છે. પ્રથમ ફેઝનું કામ પૂર્ણતાના આરે છે, અને આગામી 6 મહિનામાં લોકો માટે ખુલ્લું મૂકી દેવાય તેવી શક્યતા છે. દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ 'ગુજરાતના બિગ પ્રોજેક્ટ્સ'ના પાંચમા એપિસોડમાં આજે તમને આ પ્રોજેક્ટની ટૂર કરાવીશું. સાથે સાથે આ પ્રોજેક્ટનો તમે ના જોયેલો ડ્રોન વ્યૂ પણ બતાવીશું. આખો વીડિયો જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 6:00 am

ઠંડીનો બીજો રાઉન્ડ:નલિયામાં 13 દિવસ બાદ પારો સિંગલ ડિજિટમાં

કચ્છ સહીત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મિશ્ર ઋતુનો અનુભવ થયા બાદ હવે ફરી એકવાર શિયાળાએ પોતાનું અસલી જોર બતાવવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને સરહદી જિલ્લા કચ્છના નલિયામાં ઠંડીનું જોર ફરી વધ્યું છે. લાંબા સમયના વિરામ બાદ, એટલે કે 13 દિવસ પછી નલિયામાં લઘુત્તમ તાપમાન ફરી એકવાર સિંગલ ડિજિટમાં નોંધાયું છે. શુક્રવારે 9.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે નલિયા સમગ્ર ગુજરાતનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષા અને ત્યાંથી ફૂંકાતા બર્ફીલા પવનોને કારણે કચ્છમાં તાપમાનનો લઘુતમ પારો ગગડ્યો છે. નલિયામાં તાપમાન 10 ડિગ્રીની નીચે જતાં જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે. વહેલી સવારે અને મોડી રાત્રે રસ્તાઓ પર ટ્રાફિક ઓછો જોવા મળ્યો હતો.અને લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો તેમજ તાપણાનો સહારો લેતા દેખાયા હતા. માત્ર નલિયા જ નહીં પરંતુ ભુજ અને કંડલા એરપોર્ટ પર પણ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ભુજમાં 14.1, કંડલા એરપોર્ટ 15.2 અને કંડલા પોર્ટ 12.7 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. કચ્છમાં દિવસ દરમ્યાન અને રાત્રિના સમયે પવનની ગતિ વધુ હોવાથી ઠંડીનો અનુભવ થયો હતો. આગામી 2 થી ૩ દિવસ સુધી ઠંડીનું આ મોજું યથાવત રહે તેવી શક્યતા છે. કચ્છ સહીત રાજ્યના અન્ય ભાગોમાં પણ લઘુત્તમ તાપમાનમાં 2 થી ૩ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધશે. ખાસ કરીને વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:55 am

24 કલાકમાં જ નર્મદાના કલેક્ટરે પલટી મારી:ચૈતર વસાવાના રંગ ઉડી ગયા, સાંસદ અંદરખાને રાજી રાજી; વડોદરામાં CMના કાર્યક્રમમાં મહિલા નેતાઓનો દબદબો દેખાયો

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:55 am

કેન્દ્રીય મંત્રીના હસ્તે શ્રદ્ધેય વાજપેયીની પ્રતિમાનું અનાવરણ:માધાપરમાં અટલબાગનું લોકાર્પણ, વોક-વે, પક્ષી ઉદ્યાન બનશે આકર્ષણ

ભુજ તાલુકાના માધાપર ખાતે એક એકરમાં ફેલાયેલ અટલ બાગનું લોકાર્પણ અને શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. માધાપર નવાવાસ ગ્રામ પંચાયત પ્રેરિત અને ખાનગી સોસાયટી સંચાલિત આ બાગનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે કરાયું હતું. કેન્દ્રીય મંત્રી માંડવીયાએ જણાવ્યું કે, “માધાપરે ગામમાં આ પ્રતિમા સ્થાપી ઉત્તમ કર્યું કર્યું છે, જે અભિનંદનને પાત્ર છે. અટલ બાગની અંદર માધાપરના ગ્રામજનો આવી અટલજીના જીવનમાંથી પ્રેરણા મેળવશે. સરપંચ વાલજીભાઇ ડાંગરે જણાવ્યું હતું કે, અહીં લોકો આવશે ત્યારે અટલજીના જીવનમાંથી પ્રેરણા અને હકારાત્મક ઉર્જા મળશે. આ તકે દાતા પરિવાર ડો.જે કે દબાસીયા અને અરજણભાઈ રબારી પરિવારનો આભાર માનીએ છીએ. આ લોકાર્પણ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિ.પં પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, અનિરુદ્ધભાઈ દવે સાથે ઉપસરપંચ જગદીશભાઈ માધાપરિયા, અગ્રણી જયંતભાઈ માધાપરિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બગીચા સાથે પક્ષી ઉદ્યાન, ઔષધિય ઉદ્યાન, બાળવાટિકા અનેરું આકર્ષણ બનશે૩૫ લાખના ખર્ચે તૈયાર થયેલ આ પાર્ક લોકોમાં અનેરી રાષ્ટ્રભાવના જગાવશે. આ બાગમાં પક્ષી ઉદ્યાન, ઔષધિય ઉદ્યાન, બાળવાટિકા અને વોકિંગ ટ્રેક સાથે બગીચાનું નિર્માણ કરાયું છે. ૩૫ લાખના ખર્ચે દાતા પરિવારના સહયોગથી બનાવવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:49 am

રોડ પહોળા કરવાની કામગીરીમાં પાઈપ તૂટ્યા:30 હજાર લોકોના ઘરે નળમાં પાણી ન ટપક્યું

ભુજ શહેરના રિંગ રોડના રિસર્ફેસિંગ સાથે પહોળા કરવાનું કામ પણ ચાલી રહ્યું છે, જેમાં અત્યાધૂનિક સાધનોથી ઝડપી કામગીરી કરવામાં આર. એન્ડ બી. સ્ટેટ અને નગરપાલિકા વચ્ચે સંકલન પણ કામ નથી આવતું, જેથી હજુ સુધી 30 હજાર લોકોને એકાંતરે તો ઠીક પણ પંદર દિવસે પાણી મળ્યાના હેવાલ છે. શહેરમાં પાણીની લાઈન અને ગટરની લાઈન આયુષ્ય પૂરું કરે ત્યારે ભુજ નગરપાલિકાના માથે માછલા ધોવાતા હોય છે. પરંતુ, હાલ શહેરના રિંગ રોડનું રિસર્ફેસિંગનું કામ ચાલી રહ્યું છે, જેમાં સાથોસાથ રોડ પણ પહોળા કરાઈ રહ્યા છે. જોકે, આર. એન્ડ બી. સ્ટેટના ઠેકેદારે નગરપાલિકાને સ્થળ ઉપર હાજર રહેવાનું સંકલન સાધ્યું છે. પરંતુ,કામગીરીમાં ઝડપ લાવવા માટે હિટાચી, જે.સી.બી. જેવી મશીનરીનો ઉપયોગ થઈ રહ્યો છે, જેથી કામગીરી દરમિયાન જમીન અંદર પથરાયેલી પાણી અને ગટરની લાઈનો તૂટવાની ઘટના બની રહી છે. હિલગાર્ડનથી ગણેશનગર સુધી માર્ગ પહોળા કરવાની કામગીરી દરમિયાન પાણીની લાઈનો તૂટવા લાગી હતી, જેથી ગણેશનગર અને તેની આસપાસની વસાહતોને હિલગાર્ડન ટાંકેથી પાણી મળ્યું ન હતું. શહેરમાં કુલ 3થી 4 વોર્ડ ઉપર આડઅસર થઈ છે અને દરેક વોર્ડમાં 10થી 15 હજાર જેટલા લોકોની વસાહતો છે. જેમને પાણી વિતરણ એકાંતરે તો ઠીક પણ પંદર દિવસે પણ નથી થતું. એકેય તંત્રનો વાંક નથી : પાણી સમિતિ ચેરમેનભુજ નગરપાલિકાની પાણી પુરવઠા સમિતિના ચેરમેન સંજય ઠક્કરે જણાવ્યું હતું કે, એ વાત સાચી છે કે, રોડ પહોળા કરવાની કામગીરીમાં વજનદાર અને ધારદાર મશીનરીને કારણે પાણીની લાઈનો તૂટી રહી છે, જેથી લોકોને નળ વાટે પાણી વિતરણમાં અતિશય વિલંબ થઈ રહ્યો છે. પરંતુ, બંને તંત્રોમાંથી એકેયનો વાંક નથી. કેમ કે, અત્યાધુનિક મશીનરી અને ઝડપથી કામ પૂરું કરવામાં સંકલન સાધવું અસંભવ થઈ ગયું છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:45 am

તસ્કરે બાઈકના સ્પેરપાર્ટ્સ જુદા કરી નાખ્યા:ભુજના શિવકૃપા નગરમાંથી બાઈક ચોરનાર સોસાયટીનો શખ્સ ઝબ્બે

શહેરમાં કોમર્સ કોલેજ રોડ પર આવેલ શિવકૃપા નગરમાં રહેતા આરોપીએ પોતાની જ સોસાયટીમાં હાથ મારી એક બાઈકની ઉઠાંતરી કરી હતી જે બાદ આરોપીએ તેના સ્પેરપાર્ટ્સ અલગ કરી દીધા હતા.જોકે પોલીસે દબોચી લેતા લાલ ટેકરી નજીકથી વધુ એક બાઈકની ચોરી કરી હોવાની પણ કબુલાત આપી છે. ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે શિવકૃપા નગરમાંથી બાઈક ચોરી થયેલી હોવાની ફરિયાદ નોંધાઇ હતી.ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા સર્વેલન્સ સ્ટાફના માણસો શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.એ દરમિયાન શિવકૃપા નગરમાં રહેતા આરોપી અજયસિંહ દાનસિંહ સોલંકીને ઝડપી લીધો હતો.જે બાદ પોલીસે આરોપીની પૂછપરછ કરતા પોતે શિવકૃપા નગરમાંથી બાઈકની ચોરી કરી હોવાનું અને ત્યાર બાદ બાઈકના સ્પેરપાર્ટ્સ અલગ કરી નાખ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીની વધારે પૂછપરછ કરી ત્યારે લાલ ટેકરી નજીકથી પણ એક બાઈક ચોરી કર્યો હોવાની કબુલાત આપી હતી.પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ઉપરાંત આરોપી ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે જેની વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ મથક રાજકોટ,શિહોર,ભાવનગર એ અને બી ડીવીઝન તેમજ ગોંડલ સીટી પોલીસ મથકે ગુના નોધાયેલા છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:42 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:રામકુંડને કોઈ વ્યક્તિ બગાડે તો રૂપિયા 5 હજાર દંડ સાથે 3 માસની કેદની જોગવાઈ, પણ જાળવણી ન કરે તો સરકારી તંત્ર સામે કોઈ કાર્યવાહી નહી!

ભુજમાં પુરાતત્વ વિભાગ દ્વારા રામકુંડને રક્ષિત સ્મારક જાહેર કરાયો છે, જેથી તેને કોઈપણ રીતે ક્ષતિ પહોંચાડે તો 5 હજાર રૂપિયાના દંડ સાથે 3 માસની જેલની સજા નક્કી થઈ છે. પરંતુ, તેની જાળવણી કરવામાં સ્વયં પુરાતત્વ વિભાગ બેદરકાર છે. તંત્રની બેદરકારીની શું સજા હોય એની ગાઈડ લાઈન મૂકાઈ નથી! ભુજમાં રાજાશાહીના વખતમાં કંઠેશ્વર મહાદેવ મંદિર પાસે શિલ્પ સ્થાપત્યના ઉત્તમ નમૂનાનો કલાત્મક રામકુંડ છે. જેને જેને 1965ના ગુજરાત પ્રાચીન સ્મારકો અને પુરાતત્વ વિષયક સ્થળો અને અવશેષો અંગેના અધિનિયમની જોગવાઈ મુજબ રક્ષિત કરવામાં આવેલું છે. પુરાતત્વ વિભાગે સૂચના મૂકી છે કે, જે કોઈ વ્યક્તિ સ્મારકને કોઈપણ રીતે નાશ કરે, સ્થાનફેર કરે, બગાડે, બદલે, વિકૃત કરે અથવા જોખમ પહોંચાડે તો તે વ્યક્તિને પાંચ હજાર રૂપિયા સુધીના દંડને પાત્ર ગણવામાં આવશે. રૂપિયા ન ભરે તો વિકલ્પે 3 માસની કેદની સજા થશે. બંને પણ થઈ શકે છે. પરંતુ, તંત્ર ખુદ તેની જાળવણી કરવામાં બેદરકાર છે, જેથી રામકુંડમાં દૂષિત પાણી દુર્ગંધ મારે છે. એક સમયે શ્રદ્ધાળુઓ માટે ધનુર્માસમાં પહેલી સવારે સ્નાનનું મહિમા હતું. પરંતુ, દૂષિત પાણીમાં નહાઈને બીમારીને આમંત્રણ આપવા સમાન છે, જેથી કોઈ નહાવવા પણ આવતું નથી. આમ, ધાર્મિક લોકોની લાગણી પણ દુભાય છે. પ્રવાસીઓ પણ ખરાબ છાપ લઈને જાય છેવડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કચ્છને પ્રવાસન સ્થળ તરીકે વૈશ્વિક સ્તરે મૂકી દીધું, જેથી આજ પણ પ્રવાસીઓના ધાડેધાડા ઉતરે છે. પરંતુ, સ્થાનિકેથી પ્રવાસન સ્થળની ઓળખ કાયમી રહે તેવા ગંભીરતાપૂર્વક પ્રયાસ થતા જ નથી. સાંસદ વિનોદ ચાવડાએ એ માટે સરકારી તંત્ર, બિનસરકારી સંસ્થા ઉપરાંત લોકોને પ્રેરવા જાતે સફાઈ અભિયાન શરૂ કર્યું હતું. જેનું સાતત્ય જાળવવામાં તંત્ર નિષ્ફળ ગયું છે, જેથી પ્રવાસીઓ ખરાબ છાપ લઈને જાય છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:41 am

વસ્ત્રદાન:દિવ્ય ભાસ્કરના વાચકો દ્વારા જરૂરિયાતમંદોને કપડાં વિતરણ

દિવ્ય ભાસ્કરના વસ્ત્રદાન અભિયાનમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઇને ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પહેલા તબક્કામાં વડોદરા, દાહોદ, ગોધરા અને ભરૂચના લોકોએ આપેલા કપડાઓનુ વિવિધ સ્થળોએ વિતરણ કરાયું હતું. આ અભિયાનનો હેતુ જરૂરિયાતમંદોને માત્ર ઠંડીથી રાહત આપવાનો જ નહીં, પરંતુ તેમના જીવનમાં આશાનું નવું કિરણ પૂરવાનો છે. વસ્ત્રદાન માટે વિવિધ સોસાયટીમાં બોક્સ મૂકવામાં આવ્યાં હતાં. આ અભિયાન અંતર્ગત ગઈકાલે સમા, ગોત્રી, સેવાસી. ભાયલી જેવા વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને દાન કરવામાં આવ્યું હતું. દિવ્ય ભાસ્કર દ્વારા યોજાયેલા આ વસ્ત્રદાન અભિયાનમાં દેવાશય ફાઉન્ડેશન દ્વારા પણ મદદ કરવામાં આવી હતી. દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં જઇ આ વિતરણ કરાયું હતું.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:39 am

સાંકળી ઉત્સવ:ક્રિસમસ ટ્રી જેવું મનુષ્ય સૃષ્ટિરૂપી વૃક્ષ છે, ભગવદ્ ગીતામાં કલ્પ વૃક્ષ તરીકે વર્ણન

અટલાદરા સેવા કેન્દ્રમાં નાતાલના દિવસે સવારે ક્રિસમસ ડે ઉજવવામાં આવ્યો હતો .જેમાં ક્રિસ્મસ ટ્રીને સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. તેના ઉપર સમજાવવામાં આવ્યું કે, આ મનુષ્ય સૃષ્ટિ રૂપી વૃક્ષ જેને શ્રીમદ ભગવદ ગીતામાં કલ્પવૃક્ષ તરીકે દર્શાવવામાં આવ્યું છે જે તેની યાદગાર છે. તેમજ વૃક્ષની અંદર સજાવવામાં આવેલ સિતારાઓ જ્યોતિ બિંદુ આત્માનું પ્રતીક છે જે શરીરને ધારણ કરીને માનવ રૂપમાં સૃષ્ટિ રૂપી રંગમંચ પર પોતાનું કર્તવ્ય નિભાવે છે. સાન્તાક્લોઝ નાતાલના દિવસે બાળકોને ભેટો આપતા હોય છે. વર્તમાન સમયે પરમાત્મા આ સૃષ્ટિ પર અવતરિત થઈને દૈવી સંસ્કૃતિની સ્થાપના કરે છે. ભારતની દેવ સંસ્કૃતિને સ્વર્ગ, સતયુગ, વૈકુંઠ, જન્નત અથવા હેવિનના નામથી ઓળખાય છે. 150 બાળકોએ યોગ, કલ્ચરલ કાર્યક્રમ સાથે ક્રિકમસ ઊજવી, કલાત્મક પ્રસ્તૃતિ રજૂ કરીબ્રહ્માકુમારી ખાતે સાંજે 150 નાના બાળકો માટે પણ એક સુંદર કાર્યક્રમનું આયોજન કરેલું જેમાં નાતાલનો આધ્યાત્મિક અર્થ અને યોગનો અભ્યાસ તેમને સરળ ભાષામાં સમજાવવામાં આવ્યો હતો.બાળકોને રસપ્રદ રીતે યોગનો અભ્યાસ પણ કરાવવામાં આવ્યો બાળકોએ કલાત્મક પ્રસ્તુતિઓ સ્ટેજ પર પ્રસ્તુત કરી હતી.સેવા કેન્દ્રના ઇન્ચાર્જ બી કે ડો. અરુણા દીદી અને સહનિર્દેશક બીકે પૂનમ દીદી એ સૌને નાતાલની શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:37 am

ભાસ્કર નોલેજ:બીએલઓ 27-28 ડિસેમ્બરે બૂથ પર મતદાર યાદીમાં નામની નોંધણી કરશે

ૉ વડોદરા જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અન્વયે વિશેષ કેમ્પનું આયોજન કરાયું છે. 27 અને 28 ડિસેમ્બરે બીએલઓ બૂથ પર મતદાર યાદીમાં નામ નોંધણી પ્રક્રિયા કરશે. 10 ફેબ્રુઆરી સુધી મતદાર યાદીની કામગીરી કરાશે. બીજા તબક્કામાં દાવા અને વાંધા અરજી રજૂ કરવાનો સમયગાળો 19 ડિસેમ્બરથી 18 જાન્યુઆરી સુધી તેમજ નોટિસ તબક્કો નોટિસ ઇસ્યુ કરવી, સુનાવણી અને ચકાસણી ગણતરી ફોર્મ પર નિર્ણય દાવા વાંધા અરજીઓનો નિકાલની કામગીરી કરાશે. શનિ અને રવિવારે બીએલઓ 10થી સાંજના 5 વાગ્યા સુધી કામગીરી કરશે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:36 am

લાંચ પ્રકરણ:વારસિયા પીઆઇના નામે રૂા.2.50 લાખની લાંચ લેનાર વેપારી પકડાયો

શહેરના વારસિયા વિસ્તારમાં 5 કરોડની કિંમત ધરાવતી વિવાદિત જમીન ઉપર બિલ્ડરે બાંધકામ શરૂ કર્યું હતું.જેમાં જમીન માલિકે બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ કરવા વારસિયા પોલીસમાં અરજી આપી હતી. આ અરજીને ફરિયાદમાં તબદીલ કરવા માટે પીઆઇના નામે ખાનગી વ્યક્તિએ પાંચ લાખ માંગી અઢી લાખ સ્વીકારતા એસીબીએ ઝડપી પાડ્યો છે. આ મામલામાં પીઆઈની ભૂમિકા અંગે એસીબી તપાસ કરી રહી છે. જ્યારે લાંચ લેતા ઝડપાયેલા ખાનગી ઇસમને અદાલત સમક્ષ રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જૂના આરટીઓ પાછળ આવેલી જમીન અતાહુસૈન મલંગમિયા સિંધીની વડીલો પાર્જીત વિશાળ જમીન આવેલી હતી.જેની કિંમત 5 કરોડ ઉપરાંતની છે.જેની ઉપર વિનોદ પ્રેમચંદ ચાંદવાણી નામના બિલ્ડરે બાંધકામ શરૂ કર્યું હતું.આ અંગે જમીન માલિકે વારસિયા પોલીસ મથકે બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપી હતી.બાદમાં વકીલને લઈ પોલીસ મથકે પહોંચેલા ફરિયાદી પીઆઇને મળ્યા હતા.વારસિયા પોલીસ મથકના પીઆઈ એસ.એમ.વસાવાને વકીલની હાજરીમાં ફરિયાદી મળ્યા હતા. તે સમયે આગળની કાર્યવાહી કરવા માટે ચોખંડી વિસ્તારમાં તેલની દુકાન ધરાવતા સુરેશ રામચંદ તોલાણી ને મળી લેવા માટે જણાવ્યું હતું.અને વિઝિટિંગ કાર્ડ પણ આપ્યું હતું. સુરેશભાઈને મળતા ફરિયાદ માટે 5 લાખ પીઆઇને આપવા પડશે જેમાં અઢી લાખ પહેલા અને ફરિયાદ બાદ બીજા આપવાની વાત કરી હતી.જેના પગલે ફરિયાદીએ અમદાવાદ એસીબી ની કચેરીનો સંપર્ક કરી છટકું ગોઠવાયું હતું. એ મુજબ અનુભવ એન્ટરપ્રાઈઝની દુકાનમાં ફરિયાદીએ જઈ 2.5 લાખ રોકડા આપતા એસીબી એ ઝડપી પાડ્યા હતા.અને અદાલતમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.જ્યારે વારસિયા પીઆઈ એસ.એમ.વસાવાની ભૂમિકા અંગે તપાસ હાથ ધરી છે. ફરિયાદીને કિડનીની બીમારી છતાં 5 લાખની માગ કરી હતીઅરજીને ફરિયાદમાં તબદીલ કરવા માટે વારસિયા પોલીસ મથકના પીઆઈ એ ખુદ મારી હાજરીમાં પોલીસ મથકમાંજ આરોપી સુરેશ તોલાણીને મળી લેવા જણાવ્યું હતું.અને વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું. સુરેશ તોલાણીને મળતા સમયે પણ હું હાજર હતી. આરોપીએ પીઆઇ એસ.એમ.વસાવાને અમારી સામે ફોન કર્યો હતો.જેમાં 5 લાખની માંગ કરવામાં આવી હતી. ફરિયાદીને કીડનીની બીમારીની રજૂઆત કરી હતી.છતાં 5 લાખથી એક રૂપિયો પણ ઓછો કરવા પીઆઇ કે એનો ખાનગી માણસ તૈયાર ન હતા. } (એડવોકેટ દીપિકા મેઘવાણી સાથે થયેલી વાતચીત મુજબ) વારસિયા પીઆઇની ભૂમિકાની તપાસ કરાશે, સીસીટીવીના ફૂટેજ ચકાસાશેએસીબી વડોદરાના નાયબ નિયામક બળદેવ દેસાઈએ જણાવ્યું છે.હાલ ફરિયાદમાં માત્ર એક જ નામ સુરેશ તોલાણી નું છે.પરંતુ ફરિયાદીએ પીઆઇ એસ.એમ.વસાવા ઉપર આરોપ લગાવ્યો છે.જેની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવશે.આરોપી અને પીઆઇ વચ્ચે વાતચીત થઈ છે કે કેમ એના માટે કોલ ડિટેલ રેકોર્ડ મંગાવવામાં આવશે જ્યારે આરોપી વારસિયા પોલીસ મથકમાં આવતો જતો હતો કે નહીં એ માટે પોલીસ મથકના સીસી ટીવી ફૂટેજ મેળવી તપાસ કરવામાં આવશે. પુરાવા મળ્યા બાદ વધુ કાર્યવાહી થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:35 am

ભાસ્કર ઈનસાઈડ:પ્રતાપનગરમાં બૂટલેગરને ત્યાંથી ~10 લાખનો દારૂ જપ્ત, 2 પકડાયા, 8 ફરાર

મુખ્યમંત્રીની શહેરની મુલાકાતની આગલી રાત્રે પ્રતાપનગર ડભોઇ રોડ ઉપર બૂટલેગરના ઘરમાં દરોડો પાડ્યો હતો.જેમાં 10 લાખ ઉપરાંતનો દારૂ મળી કુલ 15 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.જેના કારણે શહેર પોલીસની બદનામી થઈ છે. આ દરોડામાં બેને ઝડપી પાડી 8 ને ફરાર જાહેર કર્યા છે. બુટલેગર આતિશ ઠાકોરનો મનાતો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 2765 બોટલ કિંમત 10.16 લાખ રૂપિયાનો સમાવેશ થાય છે.પોલીસે દારૂના જથ્થા સાથે એસ.એમ.સી એ બાબુભાઈ લહેરિયાભાઈ રાઠવા રહે ફેરકુવા છોટા ઉદેપુર તેમજ અજય ઉર્ફે બાબુ મેવાલાલ યાદવ રહે જય નારાયણ નગર ડભોઇ રોડને ઝડપી પાડ્યા હતા. મોનીટરીંગ સેલ દ્વારા દારૂનો જથ્થો વહન મોબાઇલ ફોન અને રોકકળ રકમ મળી કુલ 15.51 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.અને વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરાર આરોપીઓ હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ બાદ હવે છોટાઉદેપુરથી દારૂની લાઇન શરૂ થઈશહેરમાં અત્યાર સુધી હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા દમણથી દારૂનો જથ્થો આવતો હતો. આ બોર્ડર ઉપર મોનિટરિંગ સેલે કડક ચેકિંગ શરૂ કર્યું હતું.ત્યારે બૂટલેગરોએ લાઇન બદલી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલના આ દરોડામાં દારૂનો જથ્થો છોટાઉદેપુરના સપ્લાયર દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. પરિણામે આ મામલામાં છોટાઉદેપુર લાઇનના સપ્લાયરને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:30 am

ભાસ્કર ઈનસાઈડ:આર્ટ્સમાં વિદ્યાર્થીઓની ડિપાર્ટમેન્ટમાં જ ઇન્ટર્નશિપની કરવાની માગ યુનિવર્સિટીએ ન સ્વીકારતાં અસમંજસ

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં ઇન્ટર્નશિપના મામલે ગૂંચવણ ઊભી થઇ છે. આર્ટસ ફેકલ્ટીમાં હોસ્ટેલ અને અપડાઉન કરતાં વિદ્યાર્થીઓએ ડિપાર્ટમેન્ટમાં જ ઇન્ટર્નશિપની માગ કરી છે. જ્યારે આર્ટ્સ ફેકલ્ટી સ્તરે ઇન્ટર્નશિપ કરવાની વાત યુનિવર્સિટી સત્તાધીશોએ હજુ સુધી સ્વીકારી નથી. જેના પગલે વિભાગના વડાઓ અને ફેકલ્ટી ડીન પણ અસમંજસ ભરી સ્થિતિમાં છે. આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને ફેકલ્ટી બહાર વિવિધ કંપની, સંસ્થા, એનજીઓમાં વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ નહિ કરે તેનો ઠરાવ તમામ વિભાગના વડાઓ દ્વારા બેઠકમાં કરીને ડીનને સોંપવામાં આવ્યો હતો. ડીને વિદ્યાર્થીઓ ફેકલ્ટીમાં જ વિવિધ વિભાગોમાં ઇન્ટર્નશિપ કરી શકે કે નહિ તે અંગે યુનિવર્સિટી સત્તાધીશોનો અભિપ્રાય માગ્યો હતો. જોકે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. જોકે તેમ છતાં એનઇપીના નિયમ પ્રમાણે આર્ટ્સ ફેકલ્ટીના સત્તાધીશોએ વિદ્યાર્થીઓ બહાર જઇને ઇન્ટર્નશિપ કરે અને ડિપાર્ટમેન્ટમાં કરે તેવા બંને ઓપ્શનને ચાલુ રાખ્યા છે. આર્ટ્સ ફેકલ્ટીમાં જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે અને જે વિદ્યાર્થીઓ અપ-ડાઉન કરી રહ્યા છે તેમાન વાલીઓ દ્વારા બહાર જઇને ઇન્ટર્નશિપ કરવા માટેની મંજૂરી આપી ના હોવાથી આવા વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ માટે ડિપાર્ટમેન્ટ સ્તરે જ કરવાનો નિર્ણય કરાયો છે. હજુ આર્ટ્સ ફેકલ્ટીના તમામ વિભાગોમાં ઇન્ટર્નશિપ શરૂ થઇ શકી નથી. અમુક વિભાગોના વિદ્યાર્થીઓને જાતે ઇન્ટર્નશિપ મળી છે જ્યારે અમુક વિભાગના અધ્યાપકો દ્વારા તેમના વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ મળે તેવા પ્રયાસોના ભાગરૂપે આ વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ કરી રહ્યા છે. બહારના એક્સપર્ટને લાવી ઇન્ટર્નશિપ કરાવાશેઆર્ટસ ફેકલ્ટીમાં વિવિધ ડિપાર્ટમેન્ટમાં ઇન્ટર્નશિપ કરાવવાની વાત છે ત્યારે ફેકલ્ટીના વિદ્યાર્થીઓ બહાર ના જઇ શકે તેવા કિસ્સામાં જે તે કંપની, સંસ્થાના કર્મચારીઓને જે તે વિભાગમાં બોલાવીને તેમની પાસે જ ઇન્ટર્નશિપનું જ્ઞાન આપવામાં આવશે. ઇન્ટર્નશિપની ટ્રેનિંગ આપવા માટેની કવાયત શરૂ કરી દિધી છે અને 4 થી 5 જેટલી સંસ્થાઓ દ્વારા તેનો સ્વીકાર પણ કરી લેવાયો છે. અગામી સમયમાં જે વિદ્યાર્થીઓને ડિપાર્ટનમેન્ટમાં ઇન્ટર્નશિપ માટે ટ્રેનર તરીકે સંસ્થાના એક્સપર્ટ આવશે. 80 ટકા વિભાગમાં હજુ ઇન્ટર્નશિપ શરૂ થઇ નથીઆર્ટસ ફેકલ્ટીના 80 ટકા વિભાગમાં હજુ ઇન્ટર્નશિપ શરૂ થઇ શકી નથી. વિવિધ વિભાગોના વડાઓને ઇન્ટર્નશિપ વિશે કોઇ પણ સ્પષ્ટતા થઇ ના હોવાથી વિદ્યાર્થીઓને હજુ સુધી ઇન્ટર્નશિપ મળી શકી નથી. ઘણા વિભાગના વડાઓને ફેકલ્ટી સ્તરે જ ઇન્ટર્નશિપ થઇ જાય તેમાં રસ છે. જયારે યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ બહાર ઇન્ટર્નશિપ માટે જઇ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:26 am

ભાસ્કર નોલેજ:અલકાપુરી ગરનાળાને 18 દિવસ માટે બંધ કરાયું,50 હજાર લોકોને ફેરો પડશે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત પુલ પર ગર્ડર લોન્ચિંગની કામગીરીને પગલે શુક્રવાર મધરાતથી જ અલકાપુરી ગરનાળું 18 દિવસ માટે વાહનોની આવ-જા માટે બંધ કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જાહેરનામું પાડ્યું છે, જે અંતર્ગત મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટની સિવિલ કામગીરી અને ગર્ડર લોન્ચિંગ કરાતાં 50 હજાર વાહનોને જેતલપુર બ્રિજ તરફનો ફેરો પડશે. જેને પગલે ત્યાં ટ્રાફિકનું ભારણ વધશે. જાહેરનામા અંતર્ગત પ્રતિબંધિત બે રસ્તા અને વૈકલ્પિક બે રસ્તાની માહિતી પણ જાહેર કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, ગર્ડર લોન્ચિંગની કામગીરીને લીધે 15 થી 29મી નવેમ્બર સુધી જેતલપુર બ્રિજ પર વાહનોની અવર-જવર બંધ કરવામાં આવી હતી. બુલેટ ટ્રેન સ્ટેશનનું ઇન્ટિરિયર આખરી તબક્કામાંહાઇસ્પીડ રેલવેનાં સૂત્રોના જણાવ્યા મુજબ બુલેટ ટ્રેન સ્ટેશનની ઇન્ટિરિયરની કામગીરી આખરી તબક્કામાં છે. બુલેટ ટ્રેન સત્તાધીશો દ્વારા તેની જાહેરાત આગામી દિવસોમાં કરાય તેવી શક્યતા છે. ગત નવરાત્રી દરમિયાન બુલેટ ટ્રેન સ્ટેશનનું આંતરિક બાંધકામ પૂરું થયું હતું. વાહનચાલકો કયા 2 વૈકલ્પિક રસ્તા પર જઈ શકશે

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:24 am

સિટી એન્કર:છાણીના યુવકે 1 લાખની લોન લઈ શેર બજારમાં નાણાં ગુમાવ્યાં,પત્નીએ ટોકતાં ઘર છોડી દુબઈ જતો રહ્યો, નોકરી ન મળતાં 20 દિવસે પાછો આવ્યો

છાણીમાં રહેતા દંપતીએ નવું ઘર લેવા સોનાનાં ઘરેણાં પર લોન લીધી હતી. તે બાદ પતિએ પત્નીના ઘરેણાં પર ફરી 1 લાખની લોનમાં લઈ નાણાં શેર બજારમાં રોક્યાં હતાં. આ વિશે પત્નીને જાણ થતાં તેણે પતિને સમજાવ્યું હતું. જે બાદ પતિ ઘરમાં કોઈને જણાવ્યા વગર નીકળી ગયા હતા અને 20 દિવસ બાદ ઘરે આવ્યા હતા. જેથી તેની પત્નીએ અભમયને જાણ કરતાં ટીમે પતિનું કાઉન્સેલિંગ કરી કહ્યું કે, આ પ્રકારે ઘરમાં કોઈને જાણ કર્યા વગર નીકળી જવું યોગ્ય નથી. છાણીમાં રહેતાં ભગવતીબહેન (નામ બદલ્યું છે)એ 5 વર્ષ પહેલાં જય (નામ બદલ્યું છે) સાથે મેરેજ વેબસાઈટ થકી સંપર્કમાં આવ્યા બાદ લગ્ન કર્યા હતા. થોડા સમય પહેલાં તેઓને ઘર લેવાનું હોવાથી દંપતીએ સોનાના દાગીના પર લોન લઈ મકાન લીધું હતું. લોન પર કેટલું વ્યાજ છે, કેટલા હપ્તા ભરવાના છે, તે વિશે ભગવતીબહેન તપાસ કરવા ગયાં હતાં. તે સમયે જાણ થઈ કે, જયે દાગીના પર વધારે 1 લાખની લોન લીધી છે. જેથી તેમણે પૂછતાં જયે કહ્યું કે, તેણે 1 લાખ શેરબજારમાં રોક્યા હતા અને તેના પર 1 લાખનું દેવું થઈ ગયું છે. જેથી ભગવતીબહેને સમજાવ્યું કે, એક લોન પહેલેથી જ ચાલુ છે અને બીજી લોન લઈને રૂપિયા ગુમાવી દેવા યોગ્ય વાત નથી. તે પછી બીજા દિવસે જય કોઈને જણાવ્યા વગર નીકળી ગયો હતો. ભગવતીબહેને તેની શોધખોળ કરવા છતાં ભાળ મળી નહોતી. છેવટે છાણી પોલીસ મથકમાં ગુમ થયાની અરજી કરી હતી. 20 દિવસ બાદ જય અચાનક ઘરે આવી ગયો હતો, જેથી ભગવતીએ અભયમની મદદ લીધી હતી. અભયમની ટીમને તેણે જણાવ્યું હતું કે, કામની શોધમાં તે દુબઈ જતો રહ્યો હતો, પણ કામ ન મળ્યું. જેથી પત્ની અને 4 વર્ષના બાળકનો વિચાર આવતાં તે ઘરે આવી ગયો હતો. તેણે ભૂલ સ્વીકારી હતી અને ભગવતીબહેનને ખાત્રી આપી હતી કે, તે પત્નીની જાણ બહાર લોન નહીં લે. સાસુનાં મ્હેણાં, દીકરો તારા લીધે નીકળી ગયો હતોજયે મેરેજ વેબસાઈટ દ્વારા ભગવતીબેન સાથે લગ્ન કર્યા હતા, જે તેની માતાને પસંદ નહોતું. જયની માતા ગામડે રહેતી હતી. જય ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી જતાં ભગવતીબહેને સાસુને પૂછ્યું હતું. જોકે સાસુ ભગવતીબહેનને ધમકાવતી હતી કે, તારા લીધે જ દીકરો ઘરેથી નીકળી ગયો છે, દરેક ઘટના માટે જવાબદાર તું જ છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:23 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સાંસદ ખેલ મહોત્સવના સમાપનમાં ડીઇઓ વિધાનસભાના દંડકના પગે પડતાં વિવાદ

ખાનગી સ્કૂલો સામે નરમાઇ દાખવવા જાણીતા જિલ્લા શિક્ષણ અધિકારીએ વિવાદમાં સપડાયા છે. સાંસદ ખેલ મહોત્સવના સમાપનમાં સ્ટેજ પર પહોંચી વિધાનસભાના મુખ્ય દંડકના પગે લાગતાં સૌ ચોંકી ઊઠ્યા હતા. સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે સાંસદ ખેલ મહોત્સવ-2025નો સમાપન સમારોહ યોજાયો હતો. જ્યાં સ્ટેજ પર વિદ્યાર્થીઓને મેડલ અપાઈ રહ્યા હતા ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે સ્ટેજ પર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લના પગે લાગ્યા હતા. આ જોઈ નેતાઓ, પદાધિકારીઓ તેમજ અન્ય અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા. જેનો વીડિયો પણ ફરતો થયો હતો. હું વડીલ તરીકે પગે લાગ્યોહું તેમને વડીલ તરીકે પગે લાગ્યો હતો. આપણા સંસ્કારમાં વડીલોને પગે લાગવાનું છે. > મહેશ પાંડે, જિલ્લા શિક્ષણાધિકારી ઇ.ડીઇઓમાંથી ફુલ ટાઇમ ડીઇઓ બનવા માટે કેટલાય સમયથી પ્રયાસ કરી રહ્યા છેજિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ પાંડે 1 વર્ષથી વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીના ચાર્જમાં છે. પોતે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. જ્યાંથી પ્રમોશન મળ્યું હતું અને વડોદરા જિલ્લા પંચાયતમાં ડીપીઓ બન્યા હતા. વડોદરાના ડીઇઓ રાકેશ વ્યાસ બોર્ડના સચીવ બન્યા બાદ તેમની જગ્યા ખાલી પડતાં મહેશ પાંડેને ઇન્ચાર્જ બનાવાયા હતા. નેતાના પગે પડીને ડીઇઓની ટિકિટ કન્ફર્મ કરવા પ્રયાસ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:22 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ટ્રેનના રૂટ ટૂંકા કરાતાં યાત્રીના ખર્ચ લાંબા થયા, અમદાવાદનું જનરલનું ભાડું રુ 45,બાજવાથી સ્ટેશનનું રિક્ષા ભાડું રુ 200!

પશ્ચિમ રેલવે દ્વારા બુધવારે ટ્રેનના 9 રૂટ શોર્ટ ટર્મિનેટ-શોર્ટ ઓરિજિનેટ કરવાની જાહેરાત બાદ બાજવા, છાયાપુરી અને વિશ્વામિત્રી સ્ટેશનથી તોતિંગ રિક્ષા ભાડા વસૂલાય છે. વડોદરા-અમદાવાદનું ટ્રેનનું જનરલનું ભાડું રૂા.45 છે, જ્યારે બાજવાથી વડોદરા સ્ટેશન સુધી રિક્ષાચાલકો રૂા.200 સુધીનું ભાડું વસૂલે છે. બાજવાથી છાણીના સામાન્યત: રૂા.10 હોય છે, જ્યારે મુસાફરો પાસેથી રૂા.20 સુધી પડાવાય છે. દિવ્ય ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં આ હકીકત બહાર આવી હતી. અમદાવાદથી સાંજે 4.10 વાગ્યે વડોદરા ઇન્ટરસિટી આવતાં સ્ટેશન પાસે 30 જેટલી રિક્ષાનો જમાવડો થઇ ગયો હતો. એક રિક્ષાચાલકને વડોદરા સ્ટેશનનું પૂછતાં રૂા.200 કહ્યા હતા. રિક્ષાચાલકે કહ્યું કે, બસો રૂપિયા એટલા માટે કે પાછું ખાલી આવવું પડે છે. અહીંથી છાણી માટે શટલમાં રૂા.20-20 વસૂલાયા અને 1 રિક્ષામાં 6-8 લોકો ભર્યા હતા. બે દિવસમાં આ ટ્રેનોમાં મુસાફરો ક્રમશઃ ઘટી રહ્યા છે. શુક્રવારે ઇન્ટરસિટીમાંથી 600થી વધુ મુસાફરો બાજવા તર્યા હતા. ભાડું બસો રૂપિયા એટલા માટે લેવું પડે છે કે, ત્યાંથી અમારે ખાલી પાછું આવવું પડે છે.> રિક્ષાચાલક મારે રાત્રે સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી નાસિક જવાનું છે. રિક્ષાચાલકે 200 કહ્યા. હું વિચારી રહ્યો છું કે શું કરું. > સમય બેદાડે, રેલવેએ સિટી બસ ચાલુ કરવા માટે પાલિકાને હજી સુધી જાણ કરી નથીમુસાફરોની મજબૂરીનો લાભ લઇ બમણાં ભાડાં લેવાય છે. બીજી તરફ રેલવેએ નિયમ મુજબ સિટી બસ સેવા માટે પાલિકાને પત્ર વ્યવહાર કર્યો હોવાની જાણકારી મળી નથી. રેલવે પેસેન્જર એસો.એ ડીઆરએમને પગલાં લેવા માગ કરી હતી. વધારે મુસાફરો બેસાડી રિક્ષાઓ જોખમી રીતે રોંગ સાઇડે આવે છેબાજવા સ્ટેશનની બહારથી છાણી તરફ જવું હોય તો રિક્ષાઓ રોંગ સાઇડે મેઇન રોડ પર આવે છે. આ રસ્તો બાજવા ગામ તરફથી આવતા પુલને મળે છે. જ્યાંથી ટેમ્પો-ટ્રક જેવાં ભારદારી વાહનોની અવર-જવર હોય છે. એક સાથે સંખ્યાબંધ રિક્ષાઓ ટ્રેનના સમયે રોંગ સાઇડેથી નીકળે છે. ટ્રાફિક પોલીસ સત્વરે ધ્યાન નહીં આપે તો મોટા અકસ્માતની શક્યતા નકારી શકાય નહીં.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:21 am

અકસ્માત:દિલ્હી- મુંબઇ એકસપ્રેસ હાઇવે પર આમોદ પાસે કારની ટક્કરે 1નું મોત

ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ એકસપ્રેસ હાઇવે-4 પર અકસ્માતના બનાવો વધી રહયાં છે. આ હાઇવે પરથી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે વાહનો પસાર થઇ રહયાં હોવાથી ગમખ્વાર અકસ્માતો થઇ રહયાં છે. થોડા સમય પહેલાં ટ્રકની ટકકરે ટ્રોલીના બે ટુકડા થઇ જતાં બે શ્રમિકોના મોત થયાં હતાં. તેઓ હાઇવેની રેલિંગનું કામ કરી રહયાં હતાં ત્યારે આ અકસ્માત થયો હતો. હવે આમોદ પાસે વધુ એક અકસ્માતમાં કારચાલકે જીવ ગુમાવી દીધો છે. આમોદ તાલુકાના દોરા ગામ નજીક આવેલા નેશનલ હાઇવે 4 દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવે પર આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. દોરા રેસ્ટ હાઉસના સર્વિસ રોડ પરથી ઉતરતા વળાંક પાસે મૃતક કાર રોડ સાઈડમાં ઊભી રાખી નીચે ઉતર્યા હતા તે દરમિયાન વડોદરાથી ભરૂચ તરફ પૂરઝડપે આવી અન્ય કારના ચાલકે તેમને અડફેટે લીધા હતા.મૃતકની ઓળખ આકાશ દત્તાત્રેય મડકે (રહે. પનવેલ, મહારાષ્ટ્ર) તરીકે થઈ છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો.બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:16 am

રેતી માફિયાઓ બેફામ બની ગયાં:વાગરાના પણિયાદરા - લુવારા ગામે ગેરકાયદે‎માટીખનન,~ 2.80 કરોડનો મુદ્દામાલ જપ્ત‎

ભરૂચ જિલ્લામાં રેતી તથા માટીનું બેફામ ખનન થઇ રહયું છે. નર્મદા નદીમાંથી રેતી તથા વિવિધ ગામડાઓમાંથી ગેરકાયદેસર રીતે માટી ખોદવામાં આવી રહી છે. જિલ્લામાં રેતી તથા માટીનું ગેરકાયદે ખનન રોકવા માટે ભૂસ્તર વિભાગની ટીમે બે દિવસથી તપાસ શરૂ કરી છે. ઝઘડિયા બાદ હવે વાગરા તાલુકાના બે ગામમાંથી માટી ખનન ઝડપી પાડવામાં આવ્યું છે. 26 ડીસેમ્બરેવાગરા તાલુકાના પણિયાદરા અને લુવારા ખાતે સાદીમાટી ખનીજના બિનઅધિકૃત ખનન તથા વહનના સંદર્ભમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. વાગરા તાલુકામાં આવેલાં પણિયાદરા અને લુવારા ગામમાં તપાસ દરમિયાન ગેરકાયદેરીતે માટી ખોદવામાં આવી રહી હોવાનું જણાયું હતું. સ્થળ પરથી બેે એકસકેવેટર મશીન અને 6 ડમ્પર ભરેલી સાદી માટી કબજે લેવામાં આવી હતી. કબજે લેવાયેલાં મુદ્દામાલની કિમંત 2.80 કરોડ રૂપિયા થવા જાય છે. જપ્ત કરાયેલાં મુદ્દામાલને દહેજ પોલીસ સ્ટેશન તથા લુવારા ખાતે રાખવામાં આવ્યાં છે. માટીનું ખોદકામની માપણી કરવા માટે જીપીએસની મદદ લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:15 am

લોકોમાં ભય:નિકોરાના પટમાં દીપડો દેખાયા બાદ હવે જૂના તવરા ગામમાં પશુઓનું મારણ શરૂ

ભરૂચ તાલુકાના નિકોરા ગામે નદીની સામેના પટમાં દિપડાએ દેખા દીધાં બાદ હવે નિકોરાથી 10 કિમીના અંતરે આવેલાં જુના તવરા ગામમાં પશુઓનું મારણ શરૂ થતાં દિપડો આ વિસ્તારમાં હોવાની આશંકા છે. જુના તવરા ગામની અંદર આવી દિપડો પાલતું પશુઓને ઉઠાવી જઇને તેનું મારણ કરી રહયો છે. થોડા દિવસ પહેલાં નિકોરા ગામે નદીની સામેના પટમાં વાઘ આવ્યો, વાઘ આવ્યોની બૂમો પડી હતી. બાદમાં વન વિભાગની ટીમે પટમાં તપાસ કરતાં તે વાઘ નહિ પણ દિપડો હોવાનું બહાર આવ્યું હતું. છેલ્લા ચાર દિવસથી જુના તવરા ગામમાંથી પશુઓનું મારણ કરવામાં આવી રહયું છે. પશુપાલકોનો વાડા કે ચોવાળામાંથી વાછરડાને દિપડો ઉપાડીને લઇ જઇ રહયો છે. ગઈકાલે મોડી રાત્રે તવરા પ્રાથમિક શાળા પાસે આવેલા પશુપાલકના ચોવારા વાળામાંથી વાછરડા નું બચ્ચું ઉઠાવી જતા અને તે જાડી ઝાખડામાં વાછરડાના બચ્ચાને ફાડી નાંખ્યું હતું. એક રાતમાં 50 કિમીનું અંતર કાપી શકે છે‎દીપડો જંગલ તથા સીમમાં એમ ગમે ત્યાં ફરતો જોવા મળી શકે છે. સાંજથી સવાર સુધીમાં શિકાર કરે છે, પરંતુ જો રાત્રે શિકાર ન મળ્યો તો દિવસે પણ શિકાર કરે છે. જંગલની આસપાસની માનવ વસ્તીની નજીક રાત્રે જોઇ શકાય છે. આ પ્રાણી શિકારની આગળની તરફથી હુમલો કરે છે. એક રાત્રિમાં દિપડો 50 કીમીનું અંતર કાપી શકે છે. નિકોરાના પટમાં દેખાયેલો દિપડો 10 કિમી દૂર જુના તવરા આવી ગયો હોવાની સંભાવના છે.વાઘ નહિ પણ દિપડો હોવાનું બહાર આવ્યું હતું.ચાર દિવસથી જુના તવરા ગામમાંથી પશુઓનું મારણ કરવામાં આવી રહયું છે. જેનાથી પશુપાલકો ભયભીત બની ગયા છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:12 am

ભાસ્કર એક્સક્લુસિવ:ઓકટોબરમાં માવઠાની અસર રવી પાકો પર‎પડી, ઘઉંના વાવેતરમાં 4.8 ટકાનો વધારો થયો‎

ભરૂચ જિલ્લામાં શિયાળાની શરૂઆત સાથે રવિ પાકનું વાવેતર ચાલુ કરી દેવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં 91995 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરી દેવામાં આવ્યું છે. જેમાં છેલ્લા 28 દિવસમાં 41,995 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં શેરડી, ઘઉં, જુવાર, કઠોળ, શાકભાજી, ઘાસચારો સહિતના અન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં રવિ સિઝનમાં સૌથી વધુ નવી શેરડી અને ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ઘઉં 19,527 હેક્ટર અને શેરડી નું નવું વાવેતર 23144 હેક્ટરમાં કરવામાં આવ્યું છે. આમ જિલ્લામાં સૌથી વધુ વાગરા તાલુકામાં 18628 હેક્ટર વિસ્તારમાં જ્યારે સૌથી ઓછું આમોદ તાલુકામાં 6736 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. ભરૂચમાં પિયત વાળા વિસ્તારમાં શેરડીનું વાવેતર કરવામાં આવે છે. જેનો ભાવ અને ઉત્પાદન વધુ હોવાના કારણે શેરડીનું વાવેતર કરવામાં આવે છે. ઓક્ટોબર માં આવેલ માવઠાને કારણે ખેડૂતો પાસે કોઈ વિકલ્પ નહીં રહેતા ઘઉંનું વાવેતર કર્યું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. ગત વર્ષે રવિ સિઝન 18632 જેટલા હેક્ટરમાં ઘઉનું વાવેતર કરવામાં આવ્યું હતું. આવર્ષે અત્યાર સુધીમાં 19527 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. એટલે કે ગત વર્ષ કરતાં 895 હેક્ટરમાં ઘઉંનું વધુ વાવેતર કરવામાં આવ્યું છે. ઓક્ટોબરના માવઠાને‎કારણે ઘઉંનું વાવેતર વધ્યું‎ઓક્ટોબર મહિનામાં આવેલા માવઠાને કારણે તુવેરનો પાક કરી શક્યા હતા નહીં. તેની જગ્યાએ ઘઉંનું વાવેતર ખેડૂતો એ કર્યું છે. જોકે મગનો પાક પણ કરી શકાય છે પણ વાતાવરણમાં ગરમી વધતા તેનું ઉત્પાદન ઓછું થઈ જવાની શક્યતા વધુ હોય છે. તેથી રવિ સિઝની શરૂઆતમાં જે ખેડૂત તુવેર કરતા હોય છે. તેવા ખેડૂતોએ ઘઉં નું વાવેતર કર્યું છે. > રઝિયાબાનુ, ખેતીવાડી વિભાગ ભરૂચ તુવેરની જગ્યાએ ઘઉનું વાવેતર કર્યું છે, ખરીફ સીઝન ખરાબ રહીઆ સિઝનની સૃયતમાં મે મોટા ભાગે તુવેરનું વાવેતર કરું છુ, પણ અચાનક આવેલા માવઠાને કારણે તુવેરનું વાવેતર કરી શકાય તેમ હતું નહીં. તેના બદલામાં ઘઉં ના પાકનું મારે વાવેતર કરવું પડ્યું છે. ખરીફ સીઝનમાં આવેલા માવઠાને કારણે પાકને નુકસાન થયું છે, ત્યારે હવે રવિ સીઝન સારી જાય તેવી આશા લઈને બેઠા છે. > અરવિંદ વસાવા, ખેડૂત

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:09 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પાકિસ્તાને LoC પર એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત કરી

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઉત્તર પ્રદેશમાં લગભગ 3 કરોડ મતદારોના નામ કપાયા સંબંધિત રહ્યા. બીજા મોટા સમાચાર સોના અને ચાંદીના ભાવમાં સતત ચોથા દિવસે રેકોર્ડ તોડ્યા. એક જ દિવસમાં ચાંદીમાં 13,000 રૂપિયાનો વધારો થયો.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક યોજાશે. જેમાં મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સહિત પાર્ટીના અનેક મોટા નેતાઓ હાજર રહેશે. 2. PM મોદી દિલ્હીમાં મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય સંમેલનની અધ્યક્ષતા કરશે. કાલના મોટા સમાચારો 1. યુપીમાં SIRથી 2.89 કરોડ મતદારોના નામ કપાયા:31 ડિસેમ્બરે ફાઇનલ ડ્રાફ્ટ આવશે; અગાઉ 11 રાજ્યોમાંથી 3.69 કરોડ નામ કપાયા હતા યુપીમાં SIR એટલે કે મતદાર યાદીના વિશેષ સઘન પુનરાવર્તનનું કામ પૂર્ણ થઈ ગયું છે. રાજ્યમાં 2.89 કરોડ મતદારોના નામ કાપી નાખવામાં આવ્યા છે. મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિણવાએ જણાવ્યું કે- SIR થાય તે પહેલાં યુપીમાં કુલ 15 કરોડ 44 લાખ મતદારો હતા. 26 ડિસેમ્બરે પ્રથમ તબક્કા હેઠળ ગણતરી પત્રો જમા કરાવવાનું અને ડિજિટલાઇઝેશનનું કામ પૂર્ણ થયું છે. અત્યાર સુધીમાં 2.89 કરોડ મતદારો ઓછા થયા છે. અંતિમ આંકડા અને ડ્રાફ્ટ યાદી 31 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. પાકિસ્તાનના પરમાણુ હથિયારો દુનિયા માટે જોખમ:દસ્તાવેજોથી ખુલાસો- પુતિને 24 વર્ષ પહેલા જ્યોર્જ બુશને સતર્ક કર્યા હતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વર્ષ 2001માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશ સાથે તેમની પ્રથમ મુલાકાત દરમિયાન પાકિસ્તાનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. પુતિને કહ્યું હતું કે પાકિસ્તાન ખરેખર એક સૈન્ય શાસન એટલે કે જુન્ટા છે, જેની પાસે પરમાણુ હથિયારો છે. આ કોઈ લોકતાંત્રિક દેશ નથી. પુતિન અનુસાર, આમ છતાં પશ્ચિમી દેશો પાકિસ્તાનની ટીકા કરતા નથી, જે ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું હતું કે આ મુદ્દે ખુલ્લી ચર્ચા થવી જોઈએ. બંને નેતાઓ પાકિસ્તાનની આંતરિક પરિસ્થિતિ, રાજકીય અસ્થિરતા અને પરમાણુ કમાન્ડ સિસ્ટમને લઈને ચિંતિત હતા. તેમને ડર હતો કે જો પરિસ્થિતિ બગડે તો પરમાણુ ટેકનોલોજી ખોટા હાથમાં જઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. 'ઓપરેશન સિંદૂર'થી હજુ પણ પાકિસ્તાન ફફડેલું:10 KM સુધી ડ્રોન શોધી શકે તેવી એન્ટી-ડ્રોન સિસ્ટમ LoC પર તૈનાત કરી, સ્પાઈડર કાઉન્ટર-સુફ્રા જામિંગ ગનથી નજર રાખશે પાકિસ્તાને પાક-અધિકૃત કાશ્મીર (PoK)માં લાઇન ઓફ કંટ્રોલ (LoC) નજીક એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત કરી છે. રિપોર્ટ્સ અનુસાર, નવી કાઉન્ટર-અનમેન્ડ એરિયલ સિસ્ટમ (C-UAS)ને રાવલકોટ, કોટલી અને ભિમ્બર સેક્ટરમાં સ્થાપિત કરવામાં આવી છે. પાકિસ્તાની સેનાને આશંકા છે કે ભારત ફરીથી ઓપરેશન સિંદૂર જેવું પગલું ભરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાને LoC પર 30થી વધુ ખાસ એન્ટી-ડ્રોન યુનિટ્સ તૈનાત કરી છે. આ તૈનાતી મુર્રીની 12મી ઇન્ફન્ટ્રી ડિવિઝન અને 23મી ઇન્ફન્ટ્રી ડિવિઝન દ્વારા કરવામાં આવી છે, જે કોટલી–ભિમ્બર વિસ્તારની બ્રિગેડ્સનું સંચાલન કરે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સોના-ચાંદીમાં સતત ચોથા દિવસે રેકોર્ડબ્રેક તેજી:ચાંદી એક દિવસમાં ₹13 હજાર મોંઘી થઈ, 2.32 લાખને પાર; સોનામાં ભાવ હજુ પણ વધશે સોના-ચાંદીના ભાવ આજે (26 ડિસેમ્બર) સતત ચોથા દિવસે ઓલટાઇમ હાઇ પર છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 1 કિલો ચાંદીની કિંમત 13,117 રૂપિયા વધીને 2,32,100 રૂપિયા પ્રતિ કિલોના ઓલટાઇમ હાઇ પર પહોંચી ગઈ છે. આ પહેલાં બુધવારે એની કિંમત ₹2,18,983/કિલો હતી. 10 દિવસમાં ચાંદી 43,819 રૂપિયા મોંઘી થઈ છે. 11 ડિસેમ્બરે એની કિંમત 1,88,281 રૂપિયા પ્રતિ કિલો હતી. જ્યારે સોનાની કિંમત 1,287 રૂપિયા વધીને 1,37,914 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગઈ છે. આ પહેલાં બુધવારે 1,36,627/10g રૂપિયા પર હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 5. બાંગ્લાદેશની ઢાકા યુનિવર્સિટીમાં ભારત વિરોધી પ્રદર્શન:હાદીના હત્યારાને સજા આપવાની માગ; બાંગ્લાદેશી હિંદુની હત્યા કેસમાં વધુ 6ની ધરપકડ બાંગ્લાદેશમાં ફરી એકવાર ભારત વિરોધી પ્રદર્શનો શરૂ થયા છે. ઇન્કિલાબ મંચે નેતા ઉસ્માન હાદીની હત્યા વિરુદ્ધ ન્યાયની માંગણી સાથે ઢાકાના શાહબાગ વિસ્તારમાં પ્રદર્શન કર્યું. આ દરમિયાન ભારત વિરોધી નારા પણ લગાવવામાં આવ્યા. જુમ્માની નમાઝ બાદ ઢાકા યુનિવર્સિટીમાંથી સરઘસ કાઢવામાં આવ્યું, જે શાહબાગ પહોંચીને ધરણામાં ફેરવાઈ ગયું. પ્રદર્શનકારીઓએ રસ્તો જામ કરી દીધો, જેના કારણે વિસ્તારમાં વાહનવ્યવહાર થંભી ગયો. ઇન્કિલાબ મંચનું કહેવું છે કે જ્યાં સુધી હાદીની હત્યામાં ન્યાય નહીં મળે, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. સુભાષબ્રિજનું આયુષ્ય પૂરું, હાલના બ્રિજનું આખું સુપરસ્ટ્રક્ચર તોડી પડાશે:બ્રિજની આજુબાજુમાં 2 નવી લેન બનશે, ભાસ્કરે 2 દિવસ પહેલાં જ કહ્યું હતું, સુપરસ્ટ્રક્ચરને દૂર કરવું જરૂરી ગત 4 ડિસેમ્બર, 2025ના રોજ અમદાવાદના પૂર્વ તેમજ પશ્ચિમને જોડતા અને સૌથી વ્યસ્ત ગણાતા એવા સુભાષબ્રિજમાં તિરાડ પડી હતી. ત્યાર બાદ 25 ડિસેમ્બર સુધી બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ નિષ્ણાતોની એજન્સીઓ પાસે કરાવેલો રિપોર્ટ રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવ્યો હતો. આજે(26 ડિસેમ્બર) હાલના બ્રિજનું આખું સુપરસ્ટ્રક્ચર તોડવાનું તેમજ બન્ને બાજુ બે-બે લેન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સોમવારે આ બ્રિજ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવશે. રાજ્ય સરકારની મદદ લેવામાં આવી છે અને તેમનો સપોર્ટ મળ્યો છે. આ બ્રિજ આઇકોનિક ઊભો થાય તેના માટે પ્રયાસ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. મુંબઇની જેમ અમદાવાદમાં પણ ઘર મળવું મુશ્કેલ બનશે:50 લાખનું મકાન 1 કરોડમાં વેચાશે, કોમનવેલ્થ-ઓલિમ્પિકની યજમાનીથી રિયલ એસ્ટેટ માર્કેટમાં 100 ટકાનો વધારો થશે દેશનું મેટ્રો પોલિટન સિટી અને હવે વૈશ્વિક ઓળખ બની ગયેલું અમદાવાદ શહેર દિન-પ્રતિદિન વિકાસ કરી રહ્યું છે. એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ આગામી સમયમાં વિશ્વનાં અન્ય શહેરો જેવું નિર્માણ થશે. આગામી કોમનવેલ્થ અને ઓલિમ્પિકને લઈ રિયલ એસ્ટેટમાં ખૂબ મોટી તેજી આવે એવી સંભાવના ડેવલપર્સ વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈને ભાટ, કરાઈ અને અમદાવાદની ફરતે બનનારા નવા રિંગરોડ વિસ્તારમાં નવા પ્રોજેક્ટ આવશે. આગામી 10 વર્ષમાં મકાનની કિંમત બે ગણી વધવાની શક્યતા ડેવલપર્સે વ્યક્ત કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : સુરતની ચેસ ચેમ્પિયનથી લઈ ક્રિકેટર વૈભવને મળ્યો બાળ પુરસ્કાર:મોદીએ કહ્યું-ઝેન Z અને ઝેન આલ્ફા આપણને વિકસિત ભારતના લક્ષ્ય તરફ લઈ જશે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની હત્યા, યુનિવર્સિટીમાં ગોળી મારી:કેમ્પસમાં સુરક્ષા એલર્ટ જારી, આરોપી ફરાર; 3 દિવસમાં 2 ઈન્ડિયનનું મર્ડર વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ઓસ્ટ્રેલિયાની ચેતવણીઃ ભારતમાં નકલી રેબીઝ વેક્સિન મળી રહી છે:કહ્યું- ABHAYRAB બ્રાન્ડની રસીથી ફાયદો નથી, દેશમાં દર વર્ષે 20,000 લોકોના મોત વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : બાંગ્લાદેશી હિંદુ યુવકની હત્યા કેસમાં વધુ 6ની ધરપકડ:અત્યાર સુધીમાં 18ની અટકાયત; ટોળાએ માર મારીને હત્યા કરી, પછી ઝાડ પર લટકાવીને સળગાવ્યો હતો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ઈન્કમ ટેક્સ રિફંડ અટકવાનો મેસેજ આવે તો ગભરાશો નહીં:31 ડિસેમ્બર સુધી ભૂલ સુધારવાની તક; જાણો રિફંડ હોલ્ડ થવાના 5 મોટા કારણો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : કોહલીએ ગુજરાત સામે ધબધબાટી બોલાવી:વિજય હઝારે ટ્રોફીમાં માત્ર 29 બોલમાં ફિફ્ટી ફટકારી, રોહિત શર્મા ઝીરોમાં આઉટ; રિંકુ સિંહે સદી ફટકારી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : મહાભારતનો બોધ: દુઃખના સમયે પણ ધીરજ જાળવો:અશ્વત્થામાએ દ્રૌપદીના પાંચેય પુત્રોને મારી નાખ્યા હતા, પરંતુ દ્રૌપદીએ તેને મૃત્યુદંડ કેમ ન આપ્યો? વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ કબૂતરોને ચણ નાખવા પર પહેલી વખત સજા ભારતમાં પહેલી વખત કબૂતરોને ચણ નાખવા બદલ સજા ફટકારવામાં આવી છે. મુંબઈની કોર્ટે 52 વર્ષીય નીતિન શેટને દોષિત ઠેરવતાં જણાવ્યું કે તેનાથી રોગચાળો ફેલાવાની શક્યતા રહે છે અને આદેશોનું ઉલ્લંઘન થયું છે. કોર્ટે 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: રેલવેએ 6 મહિનામાં બીજી વખત કેમ ભાડું વધાર્યું, તમારા ખિસ્સા પર કેટલી અસર થશે; આની પાછળનો પોલિટિકલ એંગલ શું? 2. ભાસ્કર ઈન્ટરવ્યૂ : મહિપતસિંહ ગયા વર્ષે સોશિયલ મીડિયાથી 48 લાખ કમાયા: કમુરતાંમાં 25 દીકરીનાં સમૂહલગ્ન કરાવ્યાં, કહ્યું-મારો ફાઇનલ ટાર્ગેટ રાજકારણ જ છે 3. ફિલ્મી ફેમિલી : ભણવા માટે રામાનંદ સાગરે મોસાળમાં કાળી મજૂરી કરી: પાટીદારે માત્ર 9 દિવસમાં ગુજરાતમાં સેટ ઊભો કર્યો, કોંગ્રેસ-ભાજપની 'રામાયણ' વચ્ચે સિરિયલ અટવાઈ 4. રીલ્સના રાજ્જા-5 : 3.5 ફૂટના મહેશ દાદાને એક સમયે આત્મહત્યાના વિચાર આવતા: અમેરિકા જાય કે દુબઈ... અધિકારીઓ એરપોર્ટ પર રોકીને અચૂકથી કરે પૂછપરછ 5. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : આ 'ગુંડા બેંક' પત્ની જોઈને આપે છે લોન: એજન્ટે કહ્યું, પૈસા પાછા નહીં આપો તો ઉપાડી જઈશું; મંત્રી સમ્રાટના પડકાર પર ભાસ્કરની ડીલ 6. ગ્રાઉન્ડ રિપોર્ટ : હોસ્ટેલમાં 9મા ધોરણના સ્ટુડન્ટનું મર્ડર, કોણ છે આરોપી 'જોકર ગેંગ’?: પિતાએ કહ્યું, ગળા પર નિશાનથી હત્યાનો ખ્યાલ આવ્યો, સ્કૂલે હાર્ટ-એટેકનું કહ્યું 7. પ્રોફેસર પર રૂમમાં બોલાવવાનો આરોપ, ક્યાં ગઈ DU સ્ટુડન્ટ?: 6 મહિનામાં માત્ર 2 ક્લાસ, તપાસ કમિટીના રિપોર્ટથી પોતે સવાલોના ઘેરામાં કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: વૃષભ જાતકોને આગળ વધવાની શુભ તકો પ્રાપ્ત થશે; મિથુન જાતકોને અટકેલા કાર્યોમાં ગતિ આવશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 5:00 am

કતવારા, ધાનપુર, પીપલોદ પોલીસની કાર્યવાહી:31 ડિસેમ્બર પૂર્વે દાહોદ જિલ્લામાં દારૂ માફિયાઓ પર પોલીસનો સપાટો

નાતાલ અને 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દારૂના ગેરકાયદે વેચાણ અને હેરાફેરી સામે કાર્યવાહી હાથ ધરી છે. કતવારામાં એમ.પી-09- ડીએમ- 0120 નંબરની બોલેરો પીકઅપને અટકાવવામાં આવી હતી. ગાડીમાં સવાર રાહુલ રામદયાલ પંચાલ અને મહંમદ ઇમરાન નિજામખાન પઠાણ બન્ને રહે. ઝાલાવાડ, રાજસ્થાનની પુછપરછ કરતા ટીન બીયરની પેટીઓ મળી આવી હતી. વધુ તપાસમાં આ જથ્થો ઝાલાવાડના અનિલ પ્રજાપતિ દ્વારા નડિયાદના અજાણ્યા વ્યક્તિ માટે મોકલવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ₹4.80 લાખનો દારૂ અને પીકઅપ સહિત કુલ ₹7,35,500નો મુદ્દામાલ જપ્ત કરી ચાર લોકો સામે ગુનો નોંધ્યો છે. ધાનપુર મધ્યપ્રદેશ તરફથી આવતી જીજે-17-બીએ-8307 નંબરની ટીયુવી કાર શંકાસ્પદ લાગી હતી. પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે ગાડી ભગાવી હતી. પોલીસે પીછો કરી ગાડી અટકાવી, જેમાંથી ચાલક ઝાડી- ઝાખરાવાળા જંગલમાં ભાગવા જતા પકડી પાડવામાં આવ્યો હતો. પુછપરછમાં તેણે પોતાનું નામ દિનેશ અલીયા પસાયા રહે. વાકોટા ગામ જણાવ્યું હતું. કારમાંથી પોલીસે ₹45,216ની દારૂની બોટલો અને ₹5 લાખની કાર સહિત કુલ ₹5,54,216નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે ગુનો નોંધ્યો છે. પીપલોદના ભથવાડા ટોલનાકા ખાતે દાહોદ તરફથી ઇક્કોમાં ઇંગ્લિશ દારૂ ભરેલો હોવાની બાતમી મળી હતી. પોલીસે વાહન અટકાવી ડ્રાઇવર દેવેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ રહે. રાજપુરિયા ગામ, પ્રતાપગઢ – રાજસ્થાનની પુછપરછ કરી. ગાડીમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ₹1,29,969ની દારૂની બોટલો સહિત કુલ ₹3,31,969નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:55 am

આગ લાગી:ગોધરાના સાંપા રોડ પર કારની ટક્કરે વીજડીપીમાં આગ લાગી

ગોધરાના સાંપા રોડ પર એક બેકાબૂ ઈકો કારે વીજ ડીપીને ટક્કર મારતા શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. વીજ પોલ તૂટી પડતા થ્રી-ફેસ લાઈન પર અસર થઈ હતી. જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ 112ની ટીમ, ગોધરા ફાયર બ્રિગેડ અને MGVCLના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. સાંપા રોડ પર પવન ટ્રાન્સપોર્ટ સામેથી પસાર થઈ રહેલી ઈકો કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર ધડાકાભેર વીજ ડીપી સાથે અથડાઈ હતી. ટક્કરના કારણે વીજ પોલ તૂટીને હાઈટેન્શન વાયરો પર પડ્યો હતો, જેનાથી શોર્ટ સર્કિટ થયું અને ડીપી તેમજ આસપાસના વિસ્તારમાં આગ ફાટી નીકળી. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાયટરોએ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. અકસ્માતને કારણે વીજ લાઈનોને નુકસાન થતા સમગ્ર પંથકનો વીજ પુરવઠો સલામતીના ભાગરૂપે બંધ કરી દેવાયો હતો. એમજીવીસીએલની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા વીજ પોલ ધરાશાયી થવાથી મોટું નુકસાન થયું હોવાનું જણાયું હતું. હાલમાં વીજ કંપનીના ટેકનિશિયનો દ્વારા નવા પોલ ઉભા કરી અને વાયરોનું જોડાણ કરી વીજ પુરવઠો વહેલી તકે પુનઃસ્થાપિત કરવા માટે સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:54 am

કાર્યવાહી:દે. બારિયામાં ચાર દિવસ પૂર્વે થયેલી ઘરફોડ ચોરીના બે આરોપી ઝડપાયા

દેવગઢ બારીયા શહેરમાં છેલ્લા દિવસોમાં વધી રહેલી ઘરફોડ ચોરીની ઘટનાઓને ગંભીરતાથી લઈને દેવગઢ બારીયા પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સોર્સના આધારે ચોરીનો ગુનો ઝડપી રીતે ડિટેક્ટ કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી ચોરી કરેલી રોકડ રકમ રૂા.29,234 ચોરીમાં ઉપયોગ થયેલી મોટર સાઇકલ અંદાજે રૂા.50,000 તેમજ બે મોબાઇલ અંદાજે રૂા.10,000 સહિત કુલ રૂા.89,234નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ચાવડા અને દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનની ટીમને મળેલી બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વોચમાં રહેલી પોલીસ ટીમે હાલોલ તરફથી બજાર વિસ્તારમાં પ્રવેશ કરતા બે શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડી સઘન પૂછપરછ કરતા પોતાનું નામ પકડાયેલા આરોપીઓમાં કરણભાઇ મંગળભાઇ લુહારીયા અને વિજયભાઇ અર્જુનભાઇ વાઘેલા બન્ને રહે. હાલોલ જણાવ્યું હતું. ત્યાર બાદ બંનેએ ગુનાની કબૂલાત કરી હતી. પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ પોતાના સાગરીતો સાથે મળીને આશરે ચાર દિવસ અગાઉ દેવગઢ બારીયા ટાઉનમાં બંધ મકાનનું તાળું તોડી ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ સમગ્ર મામલે દેવગઢ બારીયા પોલીસે કાયદેસરની કાર્યવાહી આગળ વધારી હતી.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:53 am

પી.આઇ. પર હુમલો:હમારી ગાડી ચેકપોસ્ટ પે ખડી નહીં રહેતી, વાહન ચેકિંગ કરતા પી.આઇ. પર હુમલો

દાહોદ જિલ્લાના ગુજરાત–મધ્યપ્રદેશ આંતરરાષ્ટ્રીય બોર્ડર પર આવેલી ખંગેલા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન કતવારા પોલીસ મથકના પીઆઇ પર હુમલાની ગંભીર ઘટના સર્જાઈ હતી. આઇસર ટેમ્પોના ચાલકે પથ્થર વડે હુમલો કરતા પીઆઇને ગંભીર ઇજા થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો હોવાથી 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખી ખંગેલા બોર્ડર પર રાત્રિ દરમિયાન કતવારા પોલીસ મથકના પીઆઇ યુ.વી. ગાવિત તથા સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી MH-18-BG-1820 નંબરની આઇસર ટેમ્પો ગાડી પુરઝડપે આવી હતી. પોલીસે તેને રોકવાનો સંકેત આપતા ચાલકે ગાડી ન રોકી દાહોદ તરફ ભાગી મુકતાં પોલીસ દ્વારા પીછો કરવામાં આવ્યો હતો. દોઢથી બે કિમી દૂર ટેમ્પોને આંતરી રોકવામાં આવતા તેમાં ડ્રાઇવર સહિત ચાર વ્યક્તિઓ કેબિનમાં બેઠેલા હતા. ડ્રાઇવરે પોતાનું નામ અંકુશભાઇ હેમરાજભાઇ ડામોર (રહે. કયડાવદ બડી, મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. ચેકપોસ્ટ પર ગાડી કેમ ન રોકી તે અંગે પૂછતાં તેણે ઉશ્કેરાટભર્યા જવાબ આપ્યા અને ચેકિંગ દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી કરી નજીકના ખેતરો તરફ ભાગી ગયો હતો. પીઆઇ ઉમેશ ગાવિત અને હોમગાર્ડ કપીલભાઇએ તેનો પીછો કરતા અચાનક ચાલકે પથ્થર ઉઠાવી પીઆઇની જમણી આંખના ઉપરના ભાગે ફટકારતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાબાદ પીઆઇ ઉમેશ ગાવિતને તાત્કાલિક પોલીસ વાનમાં દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા ડીવાયએસપી જગદીશ ભંડારી સહિત એલસીબી, એસઓજી અને પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. ત્યારબાદ પોલીસે કોમ્બીંગ હાથ ધરી આરોપી અંકુશ ડામોરને ઝડપી લઈ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્રણ વર્ષ પહેલા પણ પોલીસ ઉપર હુમલો થયો હતોદેવગઢબારિયા તાલુકાના કાલિયાકૂવા ગામે દારૂ લઇ જવા રોકવાના મુદ્દે બૂટલેગર મંડળી દ્વારા ત્રણ વર્ષ પહેલાં પોલીસ ઉપર હુમલો કરીને જીપ પણ સળગાવી દીધી હતી. આ ઘટના પગલે હુમલો કરનારા મધ્યપ્રદેશના બાઇક સવાર 20થી વધુ લોકોની ટોળકી સામે ગુનો દાખલ કરાયો હતો. શંકા જતા પીછો કરતાં હુમલો કરાયો ગતરાત્રે બારથી સાડા બાર વાગ્યાના અરસામાં કતવારા પોલીસ મથકના પી.આઇ. યુ.વી. ગાવિત તથા સ્ટાફ ખંગેલા ચેકપોસ્ટે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે સમયે એક આઇસર ટેમ્પો રોકવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ચાલક ટેમ્પો ભગાવી ગયો. પોલીસે પીછો કરી દોઢથી બે કિમી દૂર ટેમ્પો અટકાવ્યો. ટેમ્પોમાંથી ઉતરેલા ડ્રાઇવરે પી.આઇ. સાથે બોલાચાલી કરી ભાગી જતા અંધારાનો લાભ લઈ પથ્થરમારો કર્યો, જેમાં પી.આઇ.ને આંખ ઉપર ઇજા પહોંચી. તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બાદમાં એસસીબી, એસઓજી સહિતની ટીમોએ કોમ્બીંગ કરીને આરોપીને ઝડપી લીધો. જગદીશ ભંડારી, DySP, દાહોદ હમારી ગાડી ચેક પોસ્ટ પે ખડી નહીં રહેતી‎પોલીસે પીછો કરી આઇસર ટેમ્પોને રોકી પી.આઇ.એ ડ્રાઇવરને ચેકપોસ્ટ ઉપર ગાડી કેમ ન‎ઉભી રાખી, ગાડીમાં કંઇ ગેરકાયદેસર ભર્યું છે પુછતાં ડ્રાઇવરે ‘‘હમારી ગાડી ચેક પોસ્ટ પે‎ખડી નહી રહેતી ઇસલીયે નહી રોકી, યે અપની બોલેરો હટાઓ યહાં સે’’ કહ્યું હતું. ત્યારે‎પીઆઈ તથા સ્ટાફે ગાડીની ચેકીંગ કરતા તેઓની સાથે ધક્કા મુક્કી કરી હતી અને ભાગવા‎જતાં પી.આઇ.એ પીછો કરતાં પથ્થરથી હુમલો કર્યો હતો અને ‘‘આજ તું મરેગા’’ કહી‎ફરીવાર પત્થર મારવા જતાં પીઆઈ અને ડ્રાઇવર વચ્ચે ઝપાઝપી થઇ હતી. પથ્થરથી હુમલો‎કરતા પી.આઇ. ઘાયલ થયા હતા.‎

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:50 am

ભાસ્કર એક્સક્લુસિવ:દાહોદના રતનમહાલના જંગલે ગુજરાતને 33 વર્ષ બાદ ટાઇગર સ્ટેટનો દરજ્જો અપાવ્યો..!

દાહોદના રતનમહાલના જંગલમાં ફેબ્રુઆરી માસથી વાઘ સ્થાઇ થતાં ગુજરાતના વન્યજીવન ઈતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) ના પ્રારંભિક રિપોર્ટ અનુસાર 33 વર્ષના લાંબા અંતરાલ બાદ ગુજરાત ફરી એકવાર સત્તાવાર રીતે દેશના ટાઈગર સ્ટેટની યાદીમાં સામેલ થયું છે. દાહોદ જિલ્લાના રતનમહાલ વન્યજીવ અભ્યારણમાં વાઘની સતત હાજરી અને હિલચાલ નોંધાતા રાજ્યનું ખોવાયેલું ગૌરવ પરત મળ્યું છે. રાજ્યમાં છેલ્લે વર્ષ 1989માં વાઘના પંજાના નિશાન મળ્યા હતા પરંતુ પ્રત્યક્ષ હાજરીના અભાવે વર્ષ 1992માં ગુજરાતની આ યાદીમાંથી બાદબાકી કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2025માં વન વિભાગના કેમેરા ટ્રેપમાં વાઘની તસવીરો કેદ થયા બાદ હવે NTCA એ પણ પોતાના રિપોર્ટમાં ગુજરાતમાં વાઘના અસ્તિત્વની પુષ્ટિ કરી છે. વંશવૃદ્ધિ માટે સરકાર દ્વારા માદા વાઘ લાવવાની યોજના પર પણ ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે. રતનમહાલને ટૂંક સમયમાં ''ટાઈગર રિઝર્વ'' જાહેર કરવામાં આવી શકે છે. આ જાહેરાત બાદ કેન્દ્ર સરકાર તરફથી વિશેષ ગ્રાન્ટ અને સુરક્ષા કવચ મળશે. ઉલ્લેખનિય છે કે, પીપરગોટા અને ડોભરવાણ બાદ હવે વાઘે રતનમહાલના સનસેટ પોઇન્ટથી નીચેના ભાગે આવેલા ધોળાકૂવા વિસ્તારમાં ડેરો નાખ્યો છે.આ સિદ્ધિ સાથે ગુજરાત ભારતનું એકમાત્ર એવું ગૌરવશાળી રાજ્ય બન્યું છે જ્યાં બિલાડી કુળની ત્રણેય પ્રમુખ પ્રજાતિઓ—એશિયાટિક સિંહ, વાઘ અને દીપડો—કુદરતી આવાસમાં એકસાથે જોવા મળે છે. ટાઈગર રિઝર્વ જાહેર કરવા માટે તમામ જરૂરી પ્રયત્નો કરી રહ્યા છીએNTCA ના પ્રારંભિક રિપોર્ટમાં રતનમહાલમાં વાઘની હાજરીની પુષ્ટિ સાથે ગુજરાતનો દેશના ટાઈગર સ્ટેટ્સમાં સમાવેશ એ દરેક ગુજરાતી માટે ગર્વની વાત છે. અમે રાજ્યમાં વાઘના સંવર્ધન માટે માદા વાઘ લાવવા અને રતનમહાલને ''ટાઈગર રિઝર્વ'' જાહેર કરવા માટે તમામ જરૂરી પ્રયત્નો કરી રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત હવે સિંહ, વાઘ અને દીપડો ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે.- અર્જુન મોઢવાડિયા, વન મંત્રી રતનમહાલમાં આં.રાષ્ટ્રીય કક્ષાનું‎સંરક્ષણ માળખું ઊભું કરાશે‎NTCA ના પ્રોટોકોલ મુજબ વાઘની સુરક્ષા માટે સામાન્ય વનકર્મીઓ ઉપરાંત ખાસ તાલીમબદ્ધ ટ્રેકર્સ તૈનાત કરવામાં આવશે આ ટીમ વાઘની હિલચાલ પર 24 કલાક નજર રાખશે. તેનાથી વાઘના લોકેશનની ચોક્કસ માહિતી રહેશે. વાઘ જેવા મહત્વના પ્રાણીના આરોગ્ય માટે ખાસ વન્યજીવન ડૉક્ટર્સની નિમણૂક થશે. વાઘને કોઈ ઈજા થાય કે બીમારી લાગે તો તત્કાલ સારવાર માટે વન વિસ્તારમાં જ આધુનિક મેડિકલ સાધનો અને રેસ્ક્યુ વાનની સુવિધા ઉપલબ્ધ કરાશે. વિશેષ સ્ટાફની નિમણૂક સાથે જ ટેકનોલોજીકલ ફેસેલીટીમાં મોટો વધારો થશે. હાઈ-રિઝોલ્યુશન કેમેરા ટ્રેપ્સ, ડ્રોન સર્વેલન્સ અને જીપીએસ કોલરિંગ જેવી સુવિધાઓ વધારવામાં આવશે. NTCA દ્વારા સ્થાનિક ફોરેસ્ટ ગાર્ડ્સ અને સ્ટાફને મધ્યપ્રદેશ કે કર્ણાટક જેવા ટાઈગર સ્ટેટ્સમાં વિશેષ તાલીમ માટે મોકલવામાં આવશે. ગુજરાતનો સ્ટાફ વાઘના વર્તનને સમજવામાં અને તેની સુરક્ષાના આંતરરાષ્ટ્રીય માપદંડો અમલમાં મૂકવામાં સક્ષમ બનશે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:47 am

કાર્યવાહી:પંચ.માં ખનીજ માફિયાઓનું પુન: વોટ્સએપ ગૂપ સક્રિય બન્યું

પંચમહાલમાં ખાણખનીજ , પુરવઠા, વન વિભાગ, મામલતદારો, એસડીએમ સહિતનાની રેકી કરવાની પ્રવૃતિ ફરીથી ચાલુ થઇ છે. અગાઉ રેકી કરનારને 40 જેટલા માફિયાઓ સામે કાર્યવાહી કરી હતી. છતા ખનીજ અને લાકડા માફિયા ફરીથી સક્રીય થઇ સરકારી અધિકારીઓની રેકી કરીને તેઓના લાઇવ લોકેશન વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી આ ગેરકાયદે પ્રવૃતિ કરનારને સચેત કરે છે. માફિયાઓ બાજીગર, સબક કા સાથ, સબકા વિકાસ, કાલોલના બંકા જેવા ગ્રૃપો બનાવીને વોટ્સઅપ ગ્રૃપોમાં ગાડી નંબર અને અધીકારીઓના લોકેશન મુકતા પ્રવૃતિ બંધ કરીને રફુચક્કર થઈ જતા સરકારી કામગીરીને માઠી અસર પહોંચે છે. તંત્રને ખનીજ માફિયા અને ગેરકાયદે પ્રવૃતિ કરનાર માફિયાઓના વોટ્સઅપ ગ્રૃપની માહીતી મળતા તેની તપાસ ચાલી રહી છે. માફિયાઓને ગ્રૂપમાં જોડાવવા પૈસા લે છે ખનીજ માફિયાઓ દ્વારા કલેકટર કચેરીની બહારથી લઇને વેજલપુર, કાલોલ હાલોલ સહિત આંતરીયાળ રસ્તાઓ પર માણસો ગોઠવી દેવામાં આવે છે. રેકી કરનાર પાસે તમામ અધિકારીઓના ગાડીઓ નંબર હોય છે. જે અધિકારીઓની ગાડીઓના નંબર મોકલતા તેથી ગેરકાયેસર પ્રવૃતિ બંધ કરીને ભુગર્ભ ઉતરી જાય છે. આ માફિયાઓ વોટ્સઅપ ગ્રૃપમાં જોડાવવા માસિક ચાર્જ પર લેતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:45 am

વકતૃત્વ સ્પર્ધા:વિદ્યાર્થીઓમાં સાહસ અને બલિદાનની ભાવના જગાડતી વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગોવિંદસિંહજીના સાહિબજાદાઓના અદ્ભુત શૌર્ય, અપ્રતિમ સાહસ અને સર્વોચ્ચ બલિદાનની સ્મૃતિમાં દર વર્ષે ૨૬મી ડિસેમ્બરના રોજ સમગ્ર દેશમાં ‘વીર બાલ દિવસ’ તરીકે ઉજવાય છે. આ દિવસના માધ્યમથી નવી પેઢીમાં રાષ્ટ્રભક્તિ અને નૈતિક મૂલ્યોનું સિંચન થાય તેવા ઉમદા હેતુ સાથે છોટાઉદેપુર જિલ્લાની વિવિધ શાળાઓમાં પ્રેરણાત્મક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે ‘વીર બાલ દિવસ’ ની ઉજવણીના ભાગરૂપે તા. 27 ડિસેમ્બર સુધી વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાનું નક્કી કરાયું છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં વિશેષ વ્યાખ્યાન અને સ્પર્ધાઓનું આયોજન હાથ ધરાયું હતું. જિલ્લાની શાળાઓમાં યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ સાહિબજાદાઓના જીવન પ્રસંગો અને તેમના શૌર્ય વિશે પ્રભાવશાળી રજૂઆત કરી હતી. શિક્ષકો દ્વારા સાહિબજાદા જોરાવર સિંહજી અને ફતેહ સિંહજીના બલિદાનની ગાથા વર્ણવી બાળકોને અન્યાય સામે લડવાની પ્રેરણા અપાઈ હતી.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:38 am

કળાને બચાવવાનો પ્રયાસ:આદિવાસી તિરંદાજોએ રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધો‎

આદિવાસી સમાજની વિસરાતી જતી‎કળા અને સંસ્કૃતિને બચાવવા માટે‎ભારત સરકારના પંચાયતી રાજ વિભાગ‎તરફથી વિશાખાપટ્ટનમ ખાતે પેસા‎મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું‎હતું. આ ત્રણ દિવસીય મહોત્સવમાં‎દેશભરના આદિવાસી વિસ્તારોની‎સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ‎સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત તિરંદાજી,‎કબડ્ડી અને મેરેથોન જેવી રમતગમત‎સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું‎હતું. આ મહોત્સવ અંતર્ગત નર્મદા‎જિલ્લાની તિરંદાજી ટીમના કુલ 10‎ખેલાડીઓએ રાજ્યનું પ્રતિનિધિત્વકરી‎ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ‎ઓથોરિટી ઑફ ગુજરાત તરફથી આ‎તમામ ખેલાડીઓ માટે જરૂરી વ્યવસ્થા‎કરાઇ હતી.‎ નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારી‎દિનેશભીલને ટીમના નોડલ ઓફિસર‎તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.‎તેમની આગેવાની અને માર્ગદર્શન હેઠળ‎તમામ ખેલાડીઓએ શિસ્તબદ્ધ અને‎સફળ રીતે સ્પર્ધામાં ભાગ લીધો. આ‎તકથી ખેલાડીઓમાં ઉત્સાહ વધ્યો તેમજ‎રાજ્ય અને જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે‎ઉજાગર થયું હતું. પેસા મહોત્સવમાં‎નર્મદા જિલ્લાના ખેલાડીઓની‎ભાગીદારીથી જિલ્લાની રમતગમત‎પ્રતિભાને નવી ઓળખ મળી છે અને‎ભવિષ્યમાં વધુ ખેલાડીઓનેપ્રોત્સાહન‎મળી રહેશે.‎

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:37 am

સહકાર પેનલ મેદાનમાં ઉતરતા ચૂંટણી જંગમાં ગરમાવો‎:ધી મોરબી પીપલ્સ ક્રેડિટ સોસા.ની વ્યવસ્થાપક સમિતિની કાલે ચૂંટણી

ધી મોરબી પીપલ્સ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી. મોરબી વ્યવસ્થાપક સમિતિના સદસ્યોની ચૂંટણી આગામી તારીખ 28 ડિસેમ્બરને રવિવારના રોજ સવારે 9 થી 3 વાગ્યા સુધી મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે મોરબીના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાનાર છે. મગનભાઈ વડાવિયા (ડિરેકટર, કૃભકો- ન્યુ દિલ્હી, વાઈસ ચેરમેન, રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંક લી.), અમૃતલાલ વીડજા (ડિરેકટર, રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંક લી.), ધનજીભાઈ કુંડારિયા (ડિરેકટર, રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંક લી.સહિતના સહકારી આગેવાન પ્રેરિત સહકાર પેનલના ઉમેદવારો ઉગતા સૂરજના નિશાન સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. સહકાર પેનલના ઉમેદવારોમાં સામાન્ય બેઠક પર કાનજી ભાગીયા, કિશોર રાઠોડ, ગણેશભાઈ પડસુંબિયા, દલસુખભાઈ પટેલ, દેવકરણ બાવરવા, ધનજીભાઈ કંઝારીયા, પ્રભુલાલ પનારા, પ્રાણજીવન છગનલાલ જાકાસણીયા, શાંતીલાલ બાવરવા, હસમુખ અમૃતીયા, મહિલા બેઠક પર પુષ્પાબેન હળવદીયા, સુષ્માબેન પટેલ, અનુ. જાતિ/અનુસુચિત જનજાતિ બેઠક પર જમનાદાસ અમરાભાઈ સોલંકી ચૂંટણી લડી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:30 am

ભાસ્કર ઈન્સાઈડ:મોરબી મનપાએ 7 મહિનામાં 2025થી વધુ પશુથી મુખ્ય રસ્તાઓને મુક્ત કર્યા

મોરબી શહેરીજનોને કનડતી સમસ્યાઓ પૈકી રખડતા પશુઓ પણ મોટી સમસ્યા છે, ક્યારેક જાહેર માર્ગો પર આખલાઓ બાખડી પડતા હોવાના કારણે ગંભીર અકસ્માત સર્જાવાનો ભય સતાવે છે ત્યારે લોકો દ્વારા શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી છે. અને મહાનગરપાલિકા દ્વારા પ્રાણી રંજાડ અંકુશ શાખા શરૂ કરવામાં આવી છે અને તે અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરાઇ હોવાનો મહાપાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. માર્ચ 2025થી 23 ડિસેમ્બર 2025 દરમિયાન મહાપાલિકાની પ્રાણી રંજાળ અંકુશ શાખા દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી 2025 જેટલા રખડતા ઢોરને પકડી પાડવામાં આવ્યા હતા અને આ પકડાયેલા ઢોરને નજીકની ગૌશાળા તેમજ પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન મોરબી શહેરમાંથી 178 પશુ માલિકો દ્વારા તેમના પાલતુ પશુઓને રાખવા માટેના લાયસન્સ લેવામાં આવ્યા હોવાનું પણ અને 18 લોકો દ્વારા યોગ્ય સ્થળે ઘાસ વેચાણ માટેના પરમિટ મેળવ્યા હોવાનો પણ મહાનગર પાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાનને પણ રાખવા માટેની નોંધણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત મોરબી શહેરમાં 31 જેટલા શહેરીજનો દ્વારા પાલતુ શ્વાન રાખવા માટેની નોંધણી કરાવવામાં આવી છે. આમ કુલ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં 135 પશુપાલકોના 835 પશુઓની નોંધણી કરવામાં આવી હોવાનું કહેવાયું છે. નંદીઘર કરતાં પશુઓ બહાર વધુ‎ફરતા હોવાનો નાગરિકોનો દાવો‎મોરબી મનપા જાહેર થઇ તેને એક વર્ષ પુરું થવા આવ્યું છે. પાલિકા વખતે રખડતા પશુઓને રાખવા માટે ખાસ નંદી ઘર બનાવવામાં આવ્યું હતું અને રખડતા પશુઓને ત્યાં શીફ્ટ કરી દેવામાં આવતા હતા જો કે હવે એ નંદીઘરના બદલે પશુઓ બહાર વધુ રહેતા હોવાનું કે નીકળી જતાં હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે ત્યારે મનપાનો આ દાવો કેટલો સાચો છે તે આગામી સમયમાં સાબીત થઇ જશે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:25 am

ભાસ્કર ઈન્સાઈડ:મોરબીના વૃદ્ધે ખેતીમાં મજૂરી માટે પરિચિતની મદદ માગી તો બદલામા શખ્સે‎ટોળકી સાથે મળી હની ટ્રેપમાં ફસાવ્યા, સમાધાનના નામે એક કરોડ માગ્યા

મોરબીના એક વૃદ્ધ ખેડૂતને વાંકાનેરના બે શખ્સે બોટાદના 5 શખ્સ તેમજ ગોંડલની એક મહિલાએ સાથે મળી હની ટ્રેપમાં ફસાવ્યા હતા આ ગેંગ દ્વારા મહિલાને વૃધ્ધ પાસે વાડીમાં મજૂરીના બહાને મોકલી હતી જ્યાં અગાઉથી કાવતરા મુજબ મહિલાએ પોતાના કપડા ઉતારી લીધા હતા, આ દરમિયાન 7 જેટલા શખ્સ આવી પહોંચ્યા હતા અને મારા સમાજની દીકરીની આબરૂ લઇશ કહી ફડાકા મારી લીધા હતા અને તેને પહેરેલો અઢી તોલાનો ચેન રોકડા એક લાખ પડાવી લીધા હતા બાદમાં સમાધાનના નામે વધુ ૪ સોનાના બિસ્કીટ મળી કુલ 58 લાખ પડાવ્યા હતા. જો કે આરોપીઓને ત્યાંથી સંતોષ ન થતા વધુ રૂપિયા પડાવવા અપહરણ કરી બોટાદ લઇ ગયા હતા જ્યાં તેઓને ગોંધી રાખી માર માર્યો હતો. આ બનાવના 10 દિવસ બાદ વૃદ્ધે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં મહિલા સહિત 8 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મોરબી અવની ચોકડી વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા 59 વર્ષીય વૃદ્ધને તેની રવાપર રોડ પર આવેલા ફાર્મમાં ખેતી કામ માટે મજૂરની જરૂર હોવાથી વાંકાનેર તાલુકાના તીથવા ગામના પાંચાભાઈ કોળીને કીધું હતું. જો કે આ પાંચા કોળીએ આ વૃદ્ધને શિકાર બનાવવાનું નક્કી કર્યું હોય તેમ અન્ય કોઈ મજુર ધ્યાનમાં ન હોય પણ ગોંડલમાં તેની બહેન રહેતી હોય અને ખેતીકામની જરૂર હોવાથી પરિવાર સાથે મોરબી બોલાવશે તેમ જણાવ્યું હતું. જેથી આ વૃદ્ધે તેમને બોલાવવા કહ્યું હતું જેથી ખુશી નામની મહિલાએ આ વૃદ્ધને ફોન કર્યો હતો અને મોરબી આવી ગઈ હતી. તેની સાથે એક શખ્સ અને 5 વર્ષનો છોકરો લઈને આવી હતી. ખેડૂતે તેમના આધાર પુરાવા માગતા કોઈ ડોક્યુમેન્ટ પાસે ન હોવાથી કામ પર રાખવાની ના પાડી હતી આ દરમિયાન પાંચાભાઈ અને કરણભાઈ ઉર્ફે કે.કે વરુ નામનો શખ્સ ત્યાં પહોચી તે મહિલાને ત્યાંથી લઇ ગયા હતા. જો કે બે ત્રણ દિવસ બાદ તેને ઘરમાં કમાનાર કોઈ ન હોય કામની જરૂર હોવાનું કહી આજીજી કરતા અંતે તેઓ કામ પર રાખવા તૈયાર થયા હતા જે બાદ આ વૃદ્ધ તેમને વાડીએ લઇ ગયા હતા. જો કે આ વખતે તે એકલી આવી હતી અને વૃદ્ધને ફસાવવા પોતાના વસ્ત્રો ઉતારવા લાગી હતી. આ દરમિયાન બે કાર ત્યાં ધસી આવી હતી અને અગાઉથી આયોજન મુજબ સાત શખ્સ કારમાંથી ઉતર્યા હતા જેમાં એક પાંચાભાઈ સહિતનાએ તેમનો વિડીયો ઉતારવા લાગ્યા હતા અને ધમકાવવા લાગ્યા હતા. આબરૂ જવાની બીકે વૃધ્ધ કરગરવા લાગતા સમાધાન ના નામે 1 કરોડ 11 લાખ જેટલી રકમ માગી હતી અને આરોપીઓએ અઢી તોલાનો સોનાનો ચેન અને 1 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આરોપીઓએ એક પછી એક ફોન કરી 50 લાખની કિમતના 4 સોનાની બિસ્કીટ પણ પડાવી લીધી હતી. આટલું ઓછું હોય તેમ આરોપીઓએ વધુ રૂપિયા પડાવવા સમાધાનના નામે મુકેશ આલ અને જીલાભાઈ ભરવાડ તેનું અપહરણ કરી બોટાદ લઇ ગયા હતા આરોપી મુકેો તેની ઓફિસે ગોંધી રાખીને માર માર્યો હતો. વૃદ્ધે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે અપહરણ છેતરપિંડી અન ગુનાહિત કાવતરા સહિતની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પાંચા કોળી જ ગેંગનો મુખ્ય સૂત્રધાર હોવાની શંકા‎તીથવાનો વતની આરોપી પાંચા કોળી આ વૃદ્ધને લાંબા સમયથી ઓળખતો હતો કોઈ બહાર ગામ જવાનું હોય તો ડ્રાઈવર તરીકે સાથે જતો હતો જેથી ઘરની આર્થિક સ્થિતિ અને અન્ય માહિતીથી જાણકાર હોવાથી વૃદ્ધને ફસાવવામાં મુખ્ય રોલ પાંચા કોળીનો હોવાનું અને કાવતરામાં અન્ય લોકોને સામેલ કરાયા હોવાની આશંકા રહી છે પોલીસે આરોપીઓ સુધી પહોચવા ચક્રો ગતિમાન કર્યા હતા આરોપીઓના નામ | ખુશી પટેલ (ગોંડલ) (કથીત રીતે પાંચાભાઈ ના સબંધીની બહેન), મુકેશ આલ રહે સુદામડા (બોટાદ), રામાભાઈ હાડગડા, (નાગલપર બોટાદ ) જીલાભાઈ ભરવાડ બોટાદ, મનીષભાઈ ગારીયા (બોટાદ) પાંચાભાઈ કોળી (તીથવા) કરણ ઉર્ફે કે કે વરુ (વાંકાનેર) દેવાંગ વેલાણી રહે. બોટાદ ગેંગના સાગરીત સામે બોટાદમાં એક કેસ‎આરોપી રામભાઈ કરસનભાઈ હાડગડા રહે, નાગલપર વાળા વિરુદ્ધ 11 નવેમ્બર 25 ના બોટાદમાં રહેતા સોની આશિષભાઈ ધોળકિયાને લોખંડનો પાઇપ માથાના કપાળના ભાગે મારી આશિષભાઈએ પહેરેલી સોનાની ચેન 15 ગ્રામ વજનની ખેંચી લઈ જઈ હથિયાબંધીના જાહેરનામાનો ભંગ કર્યાની 12 નવેમ્બરના બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હોવાની માહિતી બોટાદ પોલીસમાંથી સામે આવી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:23 am

કાર્યવાહી‎:મોરબીમાં હવે બાંધકામમાં નવા નિયમોનું‎પાલન ફરજિયાત, નહીંતર કડક કાર્યવાહી‎

મોરબી મહાપાલિકાએ શહેરમાં બાંધકામના નવા નિયમો અમલમાં મુક્યા છે. જેમાં મોરબી શહેર વિસ્તારમાં તમામ પ્રકારના ચાલી રહેલા બાંધકામના સ્થળોએ હવે મિલકતનો પ્રકાર, બાંધકામની મંજૂરી નંબર, મંજૂરી આપનાર સત્તાધિકારીનું નામ, બાંધકામનું કુલ ક્ષેત્રફળ, માલિક, કોન્ટ્રાક્ટરનું નામ સહિતની વિગતો દર્શાવવાની ફરજિયાત રહેશે. આ નિયમોનું. પાલન નહીં કરનાર જે તે જવાબદાર વ્યક્તિ સામે મનપા કડક કાર્યવાહી કરશે. મોરબી શહેરમાં હાલમાં તમામ સ્થળે તમામ.પ્રકારના ચાલી રહેલા બાંધકામ અને નવ નિર્માણ થનાર બાંધકામો માટે હવે ફરજિયાત નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. સરકારે બાંધકામ ક્ષેત્રે જાહેર કરેલા નિયમોની મોરબી મનપાએ અમલવારી શરૂ કરી છે. મનપાએ બાંધકામો માટે જાહેર કરેલા નવા નિયમો મુજબ ગુજરાત સરકારના આદેશ અનુસાર કોઈપણ બાંધકામ સ્થળે હવે મિલકતનો પ્રકાર, બાંધકામની મંજૂરી નંબર મંજૂરી આપનાર સત્તાધિકારીનું નામ, બાંધકામનું કુલ ક્ષેત્રફળ, માલિક, કોન્ટ્રાક્ટરનું નામ સહિતની વિગતો દર્શાવવાની ફરજિયાત રહેશે. આ તમામ વિગતો બાંધકામ સ્થળોએ માહિતી સાથેનું ફોર્મ લગાવવાની તાકીદ કરી છે. બાંધકામના સ્થળોએ નવા નિયમોની માહિતી દર્શાવી કે નહીં તે માટે મોરબી મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવશે. નવા નિયમથી શહેરમાં આયોજનબદ્ધ વિકાસ થવાનો દાવો‎મોરબી મનપાએ બાંધકામ માટેના નવા નિયમોથી શહેરમાં આયોજનબદ્ધ વિકાસ થવાનો દાવો કર્યો છે અને આ નિયમનથી શહેરમાં આયોજનબદ્ધ વિકાસ, સલામત બાંધકામ અને નાગરિકોના હિતોની રક્ષા થશે. નોંધનીય છે કે બંધારણમાં દરેક વસ્તુઓ માટે કડક કાયદા કાનૂન છે. પણ તેની યોગ્ય અમલવારી થતી જ નથી. એટલે જ્યાં સુધી દરેક વસ્તુઓ માટે કાયદાનો સખત અમલ થાય તો જ દેશનો વિકાસ અને સમૃદ્ધિ થશે. દુર્ભાગ્યવશ આવું ન થતા નવા નવા નિયમો ઘડાઈ રહ્યા છે. ત્યારે બાંધકામ માટેના નવા નિયમોની મનપા કડક અમલવારી કરે છે કે કેમ તે જોવાનું રહ્યું.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:19 am

માંગણી:લોકોના આરોગ્ય સાથે ચેડાં બંધ કરો, નહીંતર આંદોલન થશે: આપ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાંથી એકત્રિત કરવામાં આવેલો કચરો જાહેર માર્ગો પર ઠાલવવામાં આવતા અને તેને સળગાવવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર મુદ્દે આપ અગ્રણીએ તંત્ર સામે લાલ આંખ કરી છે અને લોકોના જાહેર આરોગ્યના હિતમાં કડક રજૂઆત કરી છે. સુરેન્દ્રનગરના માળોદ રોડપર મનપા દ્વારા જાહેરમાં કચરો નાંખવામાં આવે છે અને ત્યાર બાદ તેનો નીકાલ બાળીને કરાતો હોવાથી આસપાસના અને ગામના રહીશોને હાલાકીનો સામનો કરવો પડે છે. આથી આપના શહેર પ્રમુખ કમલેશભાઇ કોટેચાએ જણાવ્યુ કે સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારોમાંથી એકત્રિત કરેલો કચરો જાહેરમાં ઠાલવી તેને સળગાવી નીકાલ કરતો હોવાથી પ્રદુષણ વધુતું જાય છે. તેમજ કચરો જાહેરમાં સળગાવો તે સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ ગુનાહિત છે તે બાબતથી મહાનગરપાલિકા ના કમિશનર અજાણ છે કે ઇરાદા પૂર્વક અવગણના કરી લોકો ના જાહેર આરોગ્ય સાથે ચેડા કરે છે તે જાહેર કરે વાસ્તવીકતા જે પણ હોય પણ વાત ખૂબ ગંભીર છે. જે કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં જો યોગ્ય નહીં કરાય તો લોકો માટે આંદોન પણ કરવામાં આવશેની ચીમકી આપી છે. કચરાની ગંધ અને ધુમાડાથી આરોગ્યને અસરગ્રામજનોએ જણાવ્યુ કેમાળોદ રોડપર કચરો સળગાવાય છે તેનાથી લોકોને મુશ્કેલી થાય છેજેમાં રોડ પણ હોવાથી અવર જવરમા મુશ્કેલી રોડપરથી ગ્રામજનો પસાર થાય છે અને બાળકોને શાળાએ મુકવા જાય છેજેથી ધુમાડો અને ગંદકીની વાસથી પસારથવામાં મુશ્કેલી થવા સાથે આરોગ્યને પણ અસરથવાની ભીતી રહે છે. કમલેશ કોટેચા આપ આગેવાન

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:14 am

ભાસ્કર નોલેજ:રાયડાના પાકમાં ભુકીછારો, સફેદગેરૂ, પાના ટપકા સહિત રોગના ઉપદ્રવ ખેડૂતોને પાકને નુકશાનીનો ભય

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ 2184 હેક્ટરમાં રાયડાના પાકનું વાવેતર કરવામાં આવ્યુ છે.જેમાં હાલ ભુકીછારો, સફેદગેરૂ, પાના ટપકા ઉપદ્રવ વધ્યો છે.આથી ખેડૂતોને વાવેલા પાકને નુકશાની જવાનો ભય સતાવી રહ્યો છે. જેમાં સૌથી વધુ ધ્રાંગધ્રા તાલુકામાં વાવેતર કરાયુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ખેડૂતોએ 82631 હેક્ટર જેટલી જમીનમાં ખેડૂતોએ શિયાળુ પાકોનું વાવેતર કરવામાં આવ્યુ છે. જેમાં ખેડૂતોએ રાયડાના પાકનું વાવેતર કર્યુ છે.જિલ્લામાં આ વર્ષ 2184 હેક્ટરમાં ખેડૂતોએ રાયડાનાપાકનું વાવેતર કર્યુ છે.જેમાં સૌથી વધુ ધ્રાંગધ્રા તાલુકામાં રાયડાના પાકનું વાવેતર કરવામાં આવ્યુ છે. અત્યારસુધી શિયાળાની અનિયમિત ઠંડી અને ડબલવઋતુ જેવી સ્થિતીને લઇ રાયડાના પાકમાં ભુકીછારો, સફેદગેરૂ, પાના ટપકા ઉપદ્રવ ત્રાસ વર્તાવાનો શરૂ થયો છે. આથી જિલ્લાના ખેડૂતોને રાયડાના પાકને નુકશાની જવાનો અને ઓછો ઉતારો આવવાનો ભય સતાવી રહ્યો છે. આથી ખેતીવાડી અધિકારી એમ.આર.પરમાર દ્વારા પાક રક્ષણના પગલા લેવા માટે જણાવવામાં આવ્યુ છે. જેમાં રોગ નિયંત્રણ માટે દવા છંટકાવ સહિત રોગચાળો અટકાવવ પગલા લેવા જણાવાયુ છે. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ, જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવ્યું છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી મદદનીશ ખેતી નિયામ, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક વિસ્તરણ, નાયબ ખેતી નિયામકનો સંપર્ક કરવા જણાવાયુ છે. રોગ-જીવાત અટકાવવ લેવાના પગલાં રોગની શરૂઆત જણાય કે, તુરંત જ ગંધકની ભૂકી 300 મેશ હેક્ટર દીઠ 20 થી 25 કિલોગ્રામ મુજબ છાંટવી. જો વધુ જરૂર જણાય તો 15 દિવસ બાદ બીજો છંટકાવ કરવો. વૈકલ્પિક રીતે, દ્રાવ્ય ગંધક વેટેબલ સલ્ફર 80% વે.પા. 25 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ 5 ઈ.સી. 10 મિલી દવા 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી રોગ પર કાબૂ મેળવી શકાય છે. સફેદ ગેરુ, તળછારો અને પાનના ટપકાંના રોગ માટે મેન્કોઝેબ 75% વે.પા. અથવા મેટાલેક્ષીલ એમ.ઝેડ 72% વે.પા.27 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીનો છંટકાવ કરવાની સલાહ છે. ખેતરમાં રહેલા રોગિષ્ટ છોડના અવશેષોને ભેગા કરી તેનો નાશ કરવો જોઈએ જેથી ચેપ આગળ ન વધે. રાયડાનું વાવેતર તાલુકા પ્રમાણે ચોટીલા 7, દસાડા 416, ધ્રાંગધ્રા 1332, લખતર 21, મુળી 186, સાયલા 12, થાન 3, વઢવાણ 207 એમ કુલ 2184 હેક્ટરમાં રાયડાનુ વાવેતર કરવામાં આવ્યુ છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:13 am

અકસ્માત:પાટડી જરવલા રોડ પર અકસ્માત, કાર 10 ફૂટ હવામાં ઉછળીને પલ્ટી મારી ગઈ

પાટડી ફુલકી રોડ પર જરવલા નવરંગપુરા ગામ વચ્ચે અકસ્માતમા પુરઝડપે જતી કાર 10 ફૂટ હવામાં ઉછળીને પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતની ગોઝારી ઘટનામાં પતિ-પત્નિનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માતની ઘટનામાં કારના ફુરચેફુરચા બોલી ગયા, પણ સદનસીબે કોઈ જાનહાની થઇ નહોતી. દસાડા તાલુકામાં આવેલા પાટડી-જરવલા રોડ પર ટર્નિંગ પાસે પુરઝડપે જતી એક કારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં લખતરના વતની હાર્દિકભાઈ તેઓની પત્ની સાથે જરવલા ગામે જઈ રહ્યા હતા, તે અરસામાં ધડાકાભેર કાર પુલ સાથે અથડાઈ હતી. જે બાદ કાર રોડ નીચે પલ્ટી ખાઈ ગયા બાદ આ કારના ફુરચે ફુરચા ઉડી જવા પામ્યા હતા. જો કે આ અકસ્માતની ઘટનામાં સદનસીબે આ અકસ્માતમાં કોઈને જાનહાની થઈ નહોતી. પરંતુ કારને મોટા પાયે નુકશાન થવા પામ્યું હતું. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. આ અકસ્માતની ઘટનામાં લખતરના દંપતીને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પાટડી પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે પાટડી ફુલકી રોડ પર રસ્તો બિસ્માર બનતા અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોય છે, ત્યારે આ રસ્તાનું કામ તાકીદે હાથ ધરવામાં આવે એવી વ્યાપક માંગ ઉઠાવા પામી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:03 am

મારા કામની વાત:મહેસાણા મનપા વિસ્તારમાં 11 માસમાં 7330 જન્મ અને 2510 મરણ થયા

મહેસાણા શહેર અને 25 ગામ ભળીને મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી છે. જેમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી 14 ગામ અને ત્યારપછી વધુ 11 ગામનો મનપામાં સમાવેશ થયો છે. વર્ષ 2025માં જાન્યુઆરી થી નવેમ્બર સુધીના 11 મહિનામાં મહાનગરપાલિકા વિસ્તારમાં 7330 નવજાત અવતર્યા છે અને આ બાળ-બાળકીના જન્મના નવા દાખલા નામ સાથે નીકળ્યા છે તો સામે આ દરમિયાન 2510 લોકોના મોત થતાં મરણના દાખલા નીકળ્યા છે. જ્યારે વર્ષ 2024ના 12 મહિના દરમિયાન નગરપાલિકા હદ વિસ્તારમાં 7309 જન્મ અને 2493 મરણ થયા હતા.આ પહેલા વર્ષ 2023માં 7011 જન્મ અને 2406 મરણ નોધાયા હતા.એટલે પ્રતિ વર્ષ જન્મ અને મરણ બંને દરમાં વધારો જોવા મળી રહ્યો છે. જન્મ-મરણનો ફોર્મ ઓનલાઈન મેળવી શકાશે મહાનગરપાલિકાની જન્મ મરણ શાખાના સૂત્રોએ કહ્યું કે, ઘરે બેઠા પણ ઓનલાઇન જન્મ મરણનું ફોર્મ ડાઉનલોડ કરીને મેળવી શકાય છે. સીએસઆર પોર્ટલ પર જઇને ફોર્મ ના કોલમમાં જઇને આ ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે. કચેરી શાખા, ઝોનલ કચેરીએથી પણ આ ફોર્મ મળી શકશે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:01 am

ફરિયાદ:કાર લઇ જઈ રૂ.90 હજારનો ચેક આપ્યા બાદ કાર કે નાણાં પરત ન આપી છેતરપિંડી આચરનાર મોરબીનો શખ્સ ફરાર

શહેરમાં કારના વેચાણ મામલે 90,000ની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. મોરબીના શખ્સે વોટ્સએપ ગ્રૂપના માધ્યમથી સંપર્ક કરી, ખોટો ચેક આપી કાર લઈ જઈ વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. નાણાવટી ચોક સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ ટાઇટેનિયમ-1 બ્લોક નંબર બી-1402માં રહેતા હરેશભાઈ જયંતીભાઈ જોટંગિયા(ઉં.વ.33) દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોરબીના અનિલ હરિલાલ કડિયાનું નામ આપ્યું હતું. હરેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે સત્યસાંઈ રોડ ખાતે સલૂનની દુકાનમાં નોકરી કરે છે. ગત તા.12/11/2025ના રોજ બપોરે બારેક વાગ્યાના અરસામાં પોતે ઘરે હતા ત્યારે મોબાઈલ નંબર પર વોટ્સએપ ગ્રૂપમાં લે વેચ બજાર નામે ગ્રૂપ આવેલ છે જેમાં ગાડીઓ લે વેચની જાહેરાત આવતી હોય છે. જેથી પોતે પણ પોતાની અલ્ટો કારને વેચવા માટે આ ગ્રૂપમાં ફોટો મુક્યા હતા. બાદમાં આ અનિલ કડિયા નામના વ્યક્તિએ ગ્રૂપમાંથી તેના મોબાઈલ નંબર મેળવી કાર વેચાતી લેવી હોવાની વાત કરી રૂ.90 હજારમાં કાર લેવાની ડીલ કરી હતી. ગત તા.12/11/2024ના રોજ અનિલ રાજકોટ હરેશભાઈના ઘરે આવ્યો હતો અને ગાડીના બદલામાં કોટક મહિન્દ્રા બેંકનો 90 હજારનો ચેક આપી ગાડી લઈ ગયો હતો. બીજા દિવસે હરેશભાઈએ જ્યારે ચેક બેંકમાં જમા કરાવ્યો ત્યારે તે બાઉન્સ થયો હતો. લાંબા સમય સુધી પૈસા ન મળતા અને છેલ્લે તા.08/12/2024ના રોજ વોટ્સએપ ચેટમાં બે દિવસમાં પૈસા આપી દઈશ તેવા વાયદા કર્યા બાદ પણ રકમ ન ચૂકવતા અંતે ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:00 am

ફરિયાદ:કામરેજના હલધરૂમાં સગીરો વચ્ચે મારા મારીમાં એક સગીરની કાચ મારી હત્યા

કામરેજના હલધરૂ ગામે મઘ વેચીને ગુજરાન ચલાવતા સગીરો વચ્ચે થયેલી મારા મારીમાં એક સગીરની કાચના ટૂકડા મારી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બની છે. વિગત મુજબ, મૂળ બિહાર બેગુસરાઈના વતની અને હાલ સુરતમાં કામરેજના હલધરૂ ખાતે આરાધના ઓર્ચિડ સોસાયટીમાં 190 નંબરના મકાનમાં સગીર પતિ-પત્ની અને તેમની સાથે અન્ય એક સગીર સાથે રહતો હતો. પરિવારના આ તમામ સગીરો મધપુડામાંથી મધ ઉતારી વેચવાનું કામ કરે છે. જેમાં એક સગીરને તેના સાળા અને સાળીએ ઘરમાં બારીનો કાચ તોડીને મારી દેતાં તેનું મોત થયું હતું. બનાવ અંગે સોસાયટીમાં રહેતા અને મિસ્ત્રીકામ કરતા રાજનાથ ચૌહાણે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પી.આઈ. કે.ડી. ચાવડાના જણાવ્યા મુજબ મરનાર સગીર કેટલાંક દિવસોથી કામ ઉપર જતો નહીં હોવાથી ત્રણેય વચ્ચે બોલાચાલી મારા મારીમાં પરિણમતા સગીર વયના પતિ પત્નીએ મૃતકની હત્યા કરી હતી.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:00 am

રોજગારીની ઉત્તમ તક:BEMLમાં HR પ્રોફેશનલ્સને ચાન્સ, 22 જગ્યા, પગાર રૂ. 1.60 લાખ સુધી

સરકારી ક્ષેત્રે પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવવા ઈચ્છતા એચઆર પ્રોફેશ્નલ્સ માટે ભારત સરકારની મિનીરત્ન કંપની BEML લિમિટેડમાં રોજગારીની ઉત્તમ તક સર્જાઈ છે. સંરક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત આ મલ્ટી-ટેકનોલોજી કંપનીએ એચઆર ઓફિસર અને આસિસ્ટન્ટ મેનેજરની કુલ 22 જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. પસંદગી પામનાર ઉમેદવારોને ગ્રેડ મુજબ 40,000 થી લઈને 1,60,000 સુધીનો આકર્ષક માસિક પગાર મળવાપાત્ર થશે. આ પોસ્ટ માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (UG) સાથે 2 વર્ષનું ફૂલ ટાઈમ MBA (HR/IR), MSW અથવા પર્સનલ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી અનિવાર્ય છે. શૈક્ષણિક લાયકાતની સાથે અનુભવના માપદંડો પણ રાખવામાં આવ્યા છે, જેમાં એચઆર ઓફિસર માટે 2 વર્ષ અને આસિસ્ટન્ટ મેનેજર માટે 4 વર્ષનો સંબંધિત અનુભવ હોવો જરૂરી છે. ઉમેદવાર આ રીતે અરજી કરી શકશે

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:00 am

સિટી લિન્કમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો:પાલિકામાં કાગળો પર પૂરા થયેલા કામો જમીન પર દેખાતા નથી : વિપક્ષ

પાલિકાના વિપક્ષી નેતાએ પત્રકાર પરિષદ યોજી પાલિકાના વહીવટમાં કૌભાંડના આક્ષેપ કર્યા હતા. પાલિકા દ્વારા કરોડો રૂપિયાના કામો કાગળ પર પૂર્ણ કરવામાં આવે છે પરંતુ હકીકતમાં જમીન પર કોઈ કામો દેખાતા નથી. સ્વીપર મશીન, ગાર્બેજ કલેક્શન, ઉંબેર નવી ડિસ્પોઝલ સાઇટ અને સિક્યુરિટીમાં કૌભાંડના આક્ષેપ કર્યા હતા. સીટી લિંકમાં પણ ભ્રષ્ટાચાર થાય છે. કામો થયા વગર જ કાગળ પર પૂરા કરી બિલ રજુ કરી દેવામાં આવે છે પરંતુ જમીન પર તે પ્રમાણે કામો થતા નથી. વર્ષ 2021-22 માં 1968 કરોડ રૂપિયાનો કેપિટલ ખર્ચ થયો છે. જેની સામે 34% મરામત ખર્ચ એટલે કે 638 કરોડ થયો છે. આ ઉપરાંત વર્ષ 2022-23 માં 2515 કરોડ કેપિટલ ખર્ચ સામે 31 ટકા મરામત ખર્ચ એટલે 795 કરોડ થયો છે. જ્યારે વર્ષ 2023-24 માં 3202 કરોડ કેપિટલ ખર્ચ સામે 35% મરામત ખર્ચ એટલે 906 કરોડનો ખર્ચ થયો છે. જેથી સુરત મહાનગરપાલિકાને આવકના સ્ત્રોત વધે અને આવનારા વર્ષમાં કેપિટલ તેમજ રેવન્યુ ખર્ચ પર અંકુશ રાખવાની તેઓએ જરૂર હોવાનું જણાવ્યું છે. બે વર્ષમાં 4324 જેટલા વાંધા આવ્યાપાલિકા દ્વારા કરવામાં આવતા ઓડિટ રિપોર્ટમાં વર્ષ 2020-21 માં 2708 વાંધાઓ અને વર્ષ 2023-24માં 1616 વાંધાઓ નોંધાયા છે. એટલે કે માત્ર બે વર્ષમાં 4324 જેટલા વાંધા ઓડિટ રિપોર્ટમાં દેખાડવામાં આવ્યા છે. જેને વિપક્ષે અતિ ગંભીર બાબત ગણાવી છે અને તેઓએ આક્ષેપ કર્યો હતો કે આમાંના 70% વાંધા સક્ષમ સત્તાની જાણ કર્યા વગર પોતાની મનમાની ચલાવીને બિલો પાસ કર્યા હોય તેવા છે. રૂ. 155.17 કરોડનો સામાન બિન ઉપયોગીઓડિટ રિપોર્ટ પ્રમાણે સુરત મહાનગર પાલિકામાં છેલ્લા માત્ર ત્રણ વર્ષની અંદર જ 155.17 કરોડ રૂપિયાનો માલ સામાન પાલિકાના સ્ટોર્સમાં જ બિન વપરાશી થઈ ગયો છે. વર્ષ 2021-22 માં 39.66 કરોડ, વર્ષ 2022-23 માં 50.51 કરોડ અને વર્ષ 2023-24 માં 65 કરોડ રૂપિયા નો માલસામાન પાલિકાના સ્ટોર્સમાં જ બિન વપરાશી થઈ ગયો છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:00 am

વિરોધ‎:ઉ.ગુ.ની 5 ગ્રાન્ટેડ લો કોલેજોમાં આઉટસોર્સિંગ ભરતીનો અદ્યાપકોનો વિરોધ‎

ઉત્તર ગુજરાતની પાંચ સહિત ‎‎રાજ્યની સરકારી કાયદા‎કોલેજોમાં ખાલી પડેલી જગ્યાઓ ‎‎કાયમી ભરતીથી ભરવાના‎બદલે 18 ડિસેમ્બર 2025ના‎રોજ પરિપત્ર કરી સરકાર દ્વારા ‎‎અપનાવવામાં આવેલી ‎‎આઉટસોર્સિંગ પદ્ધતિ સામે‎કાયદાના નિષ્ણાતો અને ‎‎અધ્યાપકોએ મોરચો માંડ્યો છે. ‎‎ઓલ ગુજરાત લો ટીચર્સ ગ્રુપ‎દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખીને ‎‎GeM પોર્ટલ મારફતે‎આઉટસોર્સિંગ પધ્ધતિથી‎કરવામાં આવનાર ભરતીને‎ગેરબંધારણીય ગણાવી‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎તાત્કાલિક રદ કરવાની માંગ‎કરવામાં આવી છે.‎ અધ્યાપકોએ રોષ વ્યક્ત‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎કરતા જણાવ્યું છે કે, કાયદા‎શાસ્ત્રમાં જે ઉમેદવારોએ ડબલ‎ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન,‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎NET, SLET અને Ph.D. જેવી‎ઉચ્ચ પદવીઓ મેળવી છે, તેમને‎કાયમી કરવાને બદલે‎આઉટસોર્સિંગમાં ધકેલવા એ‎અન્યાયી છે. ઉચ્ચ શિક્ષણ‎પાછળ લાખોનો ખર્ચ અને‎વર્ષોની મહેનત બાદ પણ જો‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎નોકરીની સુરક્ષા ન મળે તો તે‎યુવાનોમાં નિરાશા જન્માવે છે.‎કાયમી ભરતી કરવાના બદલે‎આઉટસોર્સિંસ એજન્સી મારફતે‎જો અમારી ભરતી થશે તો‎કાયદાના તજજ્ઞ હોવા છતાં‎અમારું શોષણ થશે વિરોધ કરવા પાછળના આ કારણો‎1. અનુભવનું કોઈ મૂલ્ય નહીં‎છેલ્લા 10થી 15 વર્ષથી જે અધ્યાપકો ખાનગી કે કરાર આધારિત સેવા‎આપી રહ્યા છે, તેઓ અત્યારે 35થી 40 વર્ષની વયે પહોંચ્યા છે.‎આઉટસોર્સિંગથી તેમની આટલા વર્ષોની મહેનત એળે જવાની ભીતિ‎છે.‎2. બંધારણીય અધિકારોનું હનન‎રજૂઆતમાં જણાવાયું છે કે આ પ્રક્રિયા બંધારણની કલમ 14 અને 21‎હેઠળ મળેલા સમાનતા અને ગૌરવપૂર્ણ જીવનના અધિકારનું ઉલ્લંઘન‎કરે છે.‎3. શિક્ષણની ગુણવત્તા જોખમાશે‎કાયદાના અધ્યાપકો ન્યાયપાલિકા અને વકીલાતના વ્યવસાય માટે‎પાયો તૈયાર કરે છે. જો તેમની જ નોકરી અસુરક્ષિત અને કરાર‎આધારિત હશે, તો શિક્ષણના સ્તરમાં ઘટાડો થશે.‎ અધ્યાપકોની સરકાર પાસે 3 મુખ્ય માંગણી‎1. પરિપત્ર રદ કરો : 18 ડિસેમ્બર 2025ના રોજ બહાર પાડવામાં‎આવેલ આઉટસોર્સિંગ ભરતીનો પરિપત્ર તાત્કાલિક પાછો ખેંચવામાં‎આવે.‎2. BCIના નિયમોનું પાલન : બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI)‎અને UGCના નિયમો મુજબ જ ભરતી કરવામાં આવે.‎3. કાયમી ભરતી : ખાલી જગ્યાઓ પર યોગ્ય પ્રક્રિયા કરીને કાયમી‎ધોરણે જ નિમણૂંક આપવામાં આવે જેથી લો કોલેજો અને‎વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુરક્ષિત રહે.‎

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:00 am

માંગણી:પાટણ શહેરના રહેણાંક વિસ્તારમાં ચાલતા ગેરકાયદે કતલખાનાં બંધ કરવા ઉગ્ર માંગ

​પાટણ શહેરના લીમડી ચોક અને કસુંબીયાપાડા વિસ્તારના રહેણાંક મકાનો અને હિંદુ મંદિરોની મધ્યે ધમધમતાં બિનઅધિકૃત કતલખાના બંધ કરવાની માંગ સાથે પાટણ કલેકટરને હિંદુ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પાટણ જિલ્લા સ્વાગત ફરિયાદમાં થયેલ અરજીને અનુસંધાને પાટણ શહેરના લીમડી ચોક અને કસુંબિયાવાડામાં ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ કરવા આદેશ કરાતા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા 31મી ઓક્ટોબર સુધી તમામ કતલખાના બંધ કરવાની નોટિસ આપી છે. જેને લઈ 24મી ઓક્ટોબરે કતલખાના ચલાવતા વેપારીઓએ સમય વધારો આપવા અને પાલિકા દ્વારા જગ્યા ફાળવવા કલેકટરને રજુઆત કરતા શુક્રવારે મોટી સંખ્યામાં હિંદુ સમાજના લોકોએ પાટણ કલેકટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા.અને કતલખાના બંધ કરોના નારા લગાવ્યા હતા. સ્થાનિક રહીશ જયેશ પટેલે જણાવ્યું હતું કે લીમડી ચોક વિસ્તારમાં આવેલ કતલખાનામાં ધોળા દિવસે હિંદુઓની બહુમતી વાળા વિસ્તારમાં અબોલ પશુઓની કતલ કરવામાં આવે છે.જેના લોહી અને હાડ માંસની ગંદકી સીધી રસ્તા પર વહી આવે છે.આજુબાજુમાં અનેક હિંદુ મંદિરો આવેલા હોવાથી લોકોની ધાર્મિક આસ્થા અને લાગણી દુભાઈ રહી છે. નગરપાલિકા ચીફ ઓફિસરે 31 ડિસેમ્બરની ડેડલાઇન આપી છે.પરંતુ સંચાલકો હવે સમય માંગીને રમત રમી રહ્યા હોય તેમને સમય વધારો ના આપી એજ તારીખે કાર્યવાહી હાથ ધરવામાં આવે દિપ્તીબેન પટેલે જણાવ્યું હતું કે રહેણાંક વિસ્તારમાં કતલખાના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાય છે.ઘણીવાર વિસ્તારમાં રખડતા શ્વાનો માંસના ટુકડા લઈને ઘર આગળ થી નીકળે છે.જેના કારણે ઘણીવાર બહારથી આવતા સગા-સંબંધીઓની સામે શરમમાં મુકાવાની પરિસ્થિતિ ઉભી થાય છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:00 am

ભાસ્કર ઈનસાઈડ:કુટુંબી ભત્રીજાએ ફોઈની ભાણી સાથે પ્રેમ થઈ જતાં બોગસ લગ્ન નોંધાવ્યાં

મહેસાણામાં વધુ એક બોગસ લગ્ન નોંધણીનો ભાંડો સરદાર પટેલ સેવાદળ દ્વારા ફોડવામાં આવ્યો છે. કૌટુંબિક ભત્રીજાએ ફોઈની ભાણી સાથે પ્રેમ થઈ જતાં હારિજ ખાતે મોગલ માના મંદિરમાં લગ્ન કર્યા હોવાની બોગસ નોંધણી કરાવી હોવાનું બહાર આવતાં શહેરની વિધવા મહિલાએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી છે. મહેસાણામાં રહેતાં વિણાબેન ઠાકોર નામની વિધવા મહિલાનું પિયર પાટણ જિલ્લાના એક ગામમાં છે. તેમની દીકરી (ભાણી) સાથે તેમના પિયરના કૌટુંબિક ભત્રીજાને પ્રેમ થયો હતો. કૌટુંબિક સંબંધ હોવા છતાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી બોગસ રીતે લગ્ન નોંધાવી દીધા. પોતાની દીકરી દ્વારા કરાયેલ બોગસ લગ્ન નોંધણી અંગે વિધવા મહિલાએ મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. એસપીજીના કાર્યકરોએ જણાવ્યું કે, આ કેસમાં તપાસ કરતાં બોગસ લગ્નની હકીકત સામે આવી. બીજી તરફ, કૌટુંબિક ફોઈની દીકરી એટલે ભાણી સંબંધની રૂએ બહેન થતી હોવા છતાં પણ કૌટુંબિક ભાઈએ પ્રેમલગ્ન કરી લેતાં આ ઘટનાએ સમાજમાં ચકચાર મચાવી છે . સાક્ષીએ રૂ.500માં દસ્તાવેજ પર સહી કરીલગ્નના દસ્તાવેજમાં સ્થળ તરીકે હારિજના મોગલ માતાજી મંદિરનો ઉલ્લેખ કર્યો છે અને તેની નોંધણી હારિજ નગરપાલિકામાં કરાઇ છે. જોકે, સરદાર પટેલ સેવાદળ અને તેમના પરિવારજનોની તપાસમાં ખૂલ્યું કે, આ લગ્ન મંદિરમાં ખરેખર થયા નહોતા. એક સાક્ષીએ કહ્યું કે, તેણે માત્ર રૂ.500 લઈને દસ્તાવેજ પર સહી કરી હતી તે ક્યારેય લગ્ન કરાવવા દર્શાવેલ મંદિરમાં ગયો નથી.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:00 am

ભાસ્કર એક્સક્લુસિવ:જિલ્લામાં 111 પ્રાથમિક શિક્ષકોને મનગમતી જગ્યાએ બદલી નહીં મળે

મહેસાણા જિલ્લામાં એક શાળાથી બીજી શાળામાં જવા આંતરિક બદલી ઇચ્છતા પ્રાથમિક શાળાના શિક્ષકો માટે 339 જગ્યા સામે 228 અરજી મળી છે. આ સંજોગોમાં હાલના તબક્કે જ 111 શિક્ષકોને ગમતી જગ્યાએ બદલીમાં મેળ નહીં પડે તે નિશ્ચિત બની ગયું છે. ધોરણ 5 સુધીના પ્રાથમિક વિભાગમાં 220 જગ્યા અને ઉચ્ચ પ્રાથમિકમાં ભાષામાં 4 અને સામાન્ય વિજ્ઞાનમાં 4 મળી કુલ 228 ખાલી જગ્યાએ આંતરિક બદલી માટે કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં એક તાલુકાથી બીજા તાલુકા કે એક શાળાથી બીજી શાળામાં બદલી ઇચ્છતા 339 શિક્ષકોએ અરજીઓ કરી છે. આ અરજીમાં કોઇ શિક્ષકે વિગતો દર્શાવવામાં ભૂલ કરી હોય તો સુધારણા માટે શુક્રવારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીએ કેમ્પ યોજાયો હતો. જેમાં 70થી વધુ શિક્ષકોએ સુધારા રજૂ કર્યા હતા. હવે શનિવારથી આ અરજીઓની ચકાસણી શરૂ થશે અને સોમવાર સુધી અરજી મંજૂર કે નામંજૂર અંગે નિર્ણય લેવાશે. જેમાં 339 અરજી પૈકી પૂરતા વર્ષ ન થયા હોય સહિતના સૂચિત કારણોમાં કેટલીક અરજી રદ થવાથી 111 શિક્ષકોનો આ બદલીમાં મેળ નહીં પડે. રાજ્ય કક્ષાએથી સિનિયોરિટી સહિતના ધોરણો આધારે શિક્ષકોના આંતરિક બદલીના હુકમ થઇને આવે જે તે શિક્ષક બદલીના સ્થળે ફરજમાં આવશે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:00 am

30 ટકા મતોનું સમીકરણ બહુ મહત્ત્વનું:મુંબઈ પાલિકા પર સત્તા મેળવવા 30%નો જાદુઈ તબક્કો પાર કરવો જરૂરી

શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પક્ષ અને મનસેએ મુંબઈ મહાપાલિકાની ચૂંટણી માટે આઘાડી કરવાની ઘોષણા કરી છે. આ બંને પક્ષની હાલની રાજકીય અને ચૂંટણીમાં કામગીરી જોતાં યુતિ જરૂરી લાગે છે. જોકે રાજ્યની રાજધાની મુંબઈમાં હમણાં સુધીની ચૂંટણીઓ જોઈઓ તો ઠાકર માટે જ નહીં પણ બધા જ રાજકીય પક્ષો માટે યુતિ અથવા આઘાડીનું રાજકારણ જરૂરી છે. આ માટે અહીં 30 ટકા મતોનું સમીકરણ બહુ મહત્ત્વનું માનવામાં આવે છે. વિધાનસભા કે લોકસભાની ચૂંટણી કરતાં પણ મહાપાલિકાની ચૂંટણી વોર્ડના હિસાબે લડવામાં આવે છે. અહીં મતદારો ભાગ્યે જ એકાદ પક્ષની પાછળ એકત્ર ઊભા રહે છે. છેલ્લા બે દાયકામાં ચૂંટણીનાં પરિણામો જોતાં મુંબઈએ સતત વિભાજિત પરિણામ આપ્યાં છે. આથી જ રાજકીય પક્ષો અહીં પોતાની લોકપ્રિયતાના ભરોસા પર બેસી નહીં શકે. તેમને સતત યુતિ અથવા આઘાડી, બેઠક વહેંચણી અને સમન્વય પર આધાર રાખવો પડે છે.ગત ચાર મહાપાલિકાની ચૂંટણીમાં આંકડાવારી પરથી સ્પષ્ટ થાય છે કે 2002થી કોઈ પણ એક પક્ષે 30 ટકા મતદાનનો તબક્કો પાર કર્યો નથી. આથી મહાપાલિકાની ચૂંટણીનાં પરિણામ મોટા જનાદેશ પર આધાર રાખતા નથી, પરંતુ કયો પક્ષ અથવા જૂથ મતોનું વિભાગન રોકીને આઘાડીની જીતમાં રૂપાંતર કરી શકે તેની પર જ બધું આધાર રાખે છે. મતોનું આ જ વિભાજિત અંકગણિત પક્ષોને યુતિ કરવાની ફરજ પાડે છે. મુંબઈના મતદારો પોતાની મરજીથી મતદાન કરે છે. 2002ની ચૂંટણીમાં શિવસેના 28.10 ટકા મતો સાથે સૌથી મોટો પક્ષ તરીકે સામે આવ્યો હતો. કોંગ્રેસ 26.48 ટકા મત સાથે બીજા ક્રમે આવ્યો હતો, જે પછી 2017માં પણ આ જ સ્થિતિ રહી હતી. અનેક રાજકીય ઘટનાક્રમ અને સમીકરણો બદલાયાં પણ કોઈ પણ પક્ષ 30 ટકાનો તબક્કો પાર નહીં કરી શક્યા. આનું મુખ્ય કારણ મુંબઈમાં દરેક ઠેકાણે એકસમાન મતદાન થતું નથી. શહેરના અલગ અલગ ભાગોમાં જુદા જુદા મુદ્દા હોય છે. આથી ત્યાંના મતદારોની વોટિંગ પેટર્ન પણ અલગ હોય છે. તેમાં ભાષા. આવકનો સ્તર, ધર્મ અને વ્યવસાય વગેરે મુદ્દા મતદારોની નિર્ણય પ્રક્રિયા પર પ્રભાવ પાડે છે. આથી જ મહાપાલિકાની ચૂંટણીમાં આઘાડીઓની ભૂમિકા વધે છે. કુલ વોટ શેરમાં નાના મોટા ફેરફાર પણ અનેક વોર્ડમાં નિર્ણય ફેરવવાની તાકાત ધરાવે છે. શિવસેનાની મતોની ટકાવારી ઘટી : શિવસેનાને 2002માં 28.10 ટકા મત મળ્યા હતા. 2017માં 28.29 ટકા મળ્યા, પરંતુ તેની વચ્ચે 2007 અને 2012માં 22 ટકા સુધી મત નીચે આવ્યા હતા. આમ છતાં તેણે 2002માં 97 અને 2017માં 84 બેઠકો જીતી. આનું કારણ વિરોધના મતો અનેક પક્ષોમાં વિભાજિત થઈ. ભાજપ સાથે દીર્ઘ યુતિનો પણ તેને લાભ થયો હતો. 2017ની ચૂંટણી ભાજપ અને શિવસેનાએ સ્વબળે લડી. આમ છતાં કોઈ 30 ટકાનો તબક્કો પાર નહીં કરી શક્યા. આજે સ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. એકનાત શિંદેની શિવસેના અને પારંપરિક મરાઠી મતદારો એકસંપ નહીં હોવાથી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે નવી આઘાડીની ખાસ જરૂર હતી. આથી જ ઠાકરે જૂથ માટે રાજ ઠાકરેની મનસે સાથે યુતિ કરવાનું જરૂરી બની ગયું હતું. આ આઘાડીને લીધે ઉદ્ધવને જીતની બાંયધરી નહીં મળશે, પરંતુ મતોનું નુકસાન નિશ્ચિત જ ટાળી શકાશે. 2012માં મનસેનો મહત્ત્વનો તબક્કો : 2012માં મનસેનો ઉદય મહત્ત્વનો તબક્કો માનવામાં આવે છે. તે સમયે રાજના પક્ષને 20.67 ટકા મતો મળ્યા. જોકે ફક્ત 28 બેઠક મળી, જેથી સત્તાથી તેઓ દૂર રહ્યા. આમ થતાં મનસેને લીધે શિવસેનાનો મૂળ આધાર ઓછો થયો. અનેક વોર્ડમાં પરિણામ ફેરવાઈ ગયાં. જોકે આ પછી 2017 સુધી મનસેની મતદાનની ટકાવારી 8 ટકા સુધી નીચે આવી ગઈ. તેની બેઠક 7 પર આવી, જેને ફાયદો શિવસેનાને નહીં પણ ભાજપને થયો. મહાપાલિકામાં ભાજપનું સમીકરણ શું છે : ભાજપ મુંબઈ મહાપાલિકામાં 15 વર્ષ સુધી નાનો પક્ષ હતો. 2002થી 2012 સુધી તેના મતદાનનો ટકો 9 ટકાથી ઓછો રહ્યો છે. તેની બેઠક પણ 28થી 35 દરમિયાન હતી. મુંબઈમાં તેની પર કાયમ શિવસેનાનો પડછાયો રહ્યો. જોકે 2017માં ભાજપે સ્વબળે ચૂંટણી લડતાં જ ચિત્ર બદલાઈ ગયું. તે ચૂંટણીમાં તેના મતદાનની ટકાવારી 27.32 ટકા પર પહોંચી અને બેઠક 82 થઈ. શિવસેના કરતાં ફક્ત બે બેઠક ઓછી મળી. મહાપાલિકાની ચૂંટણીઓમાં આ સૌથી મોટો ઘટનાક્રમ હતો. સૌથી આંચકાજનક એ છે કે ભાજપે કોઈ પણ યુતિ વિના આ સફળતા મેળવી. તેનું એક કારણ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદીની કામગીરીમાં ઘસારો પણ હતું. મનસેની ટકાવારી નોંધનીય રીતે ઓછી થઈ ને અનેક વોર્ડમાં મત વિભાજનનો ફાયદો પણ ભાજપને થયો. ભાજપ માટે શિંદે મહત્ત્વના શા માટે છે?ભાજપના મતના ટકા વધ્યા છતાં તેમને માટે તે પૂરતું નથી. કેન્દ્ર અને રાજ્યમાં સત્તામાં હોવા છતાં ભાજપને શિવસેનાને હટાવી શક્યો નહીં અને 30 ટકા મતોનો તબક્કો પણ પાર નહીં કરી શક્યો. આથી જ મુંબઈ મેળવવા એકનાથ શિંદે સાથે યુતિ જરૂરી બની. 20 વર્ષનો ઈતિહાસ જોતાં મુંબઈ કોઈ પણ પક્ષને બહુમતી આપતો નથી. 227 સભ્યની મહાપાલિકામાં એકલા રાજ્ય કરવા માટે અડધાથી વધુ બેઠકો હમણાં સુધી કોઈ પક્ષ મેળવી શક્યો નથી. ચૂંટણી સામાન્ય રીતે રાજકીય પક્ષ તેમના વિભાજિત મતોનું વ્યવસ્થાપન કેટલી સારી રીતે કરે છે તેની પરથી જિતાય છે. સૌથી લોકપ્રિય કોણ એ પરથી નક્કી થતું નથી. ઠાકરે બંધુ માટે યુતિ જ મહત્ત્વપૂર્ણઠાકરે બંધુ એકત્ર આવવાથી તેઓ મતોનું વિભાગન ઓછું કરી શકશે. આથી કડવી ટક્કર હોય તે વોર્ડમાં તેમના જીતની શક્યતા પણ વધશે. જોકે 30 ટકા મતોનો તબક્કો પાર કરી શકશે કે કેમ તે જોવું રહ્યું. ફક્ત યુતિ જ તેમને અહીં સત્તામાં લાવી શકે છે. આથી મતોનું અને અને રાજકીય પક્ષોનું સમીકરણ તેમને માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ઠરશે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:00 am

અકસ્માત:ખેમાણા પાસે ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાળકીનું મોત,પિતા ગંભીર

પાલનપુર આબુ હાઇવે પર ખેમાણા પાટીયા પાસે ગુરુવારે સાંજના સમયે ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર બેઠેલી નાની બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે તેના પિતાને ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. તાલુકાના આંત્રોલી ગામના સંજયસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ ગુરુવારે સાંજે તેમની દીકરી રીતિકાબાને પોતાના બાઈક નં.જીજે-08-બીપી-3144 પર આગળ બેસાડી કપડા લેવા માટે પાલનપુર જઈ રહ્યા હતા. તે દરમિયાન આગળ જઈ રહેલા ડમ્પર નં. જીજે-36-એક્સ-6106ના ચાલકે અચાનક બ્રેક મારતા બાઈક ડમ્પરની ડ્રાઈવર સાઈડ સાથે અથડાયું હતું. અકસ્માતમાં સંજયસિંહને માથા અને ચહેરાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે દીકરી રીતિકાબાને માથામાં ગંભીર ઈજા થઇ હતી. સ્થળ પર હાજર લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી બંનેને પાલનપુર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. જ્યારે સંજયસિંહની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ બનાવને લઈને પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ અંગે સંજયસિંહના પિતરાઇ યુવરાજસિંહ ગંભીરસિંહ ચૌહાણે ડમ્પર ચાલક વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:00 am

ભાસ્કર ખાસ:પગાર ન મળવા છતાં રસોઈયા બહેનો ઉછીના પૈસા લાવી શિવજીને ધરાવે છે ભોગ

જૂનાગઢના ઐતિહાસિક અને 1200 વર્ષ જૂના પ્રાચીન ભીડભંજન શિવ મંદિરમાં છેલ્લા એક વર્ષથી વહીવટ ખાડે ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અંદાજે એક વર્ષ પૂર્વે મંદિરના બાપુના દેવલોક પામ્યા બાદ અહીં સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ ત્યારથી જ મંદિરના કર્મચારીઓ અને પૂજારીઓની હાલત કફોડી બની છે. મંદિરમાં સેવા આપતા ત્રણ પૂજારીઓ અને રસોઈ બનાવતી ત્રણ બહેનોને છેલ્લા 12 મહિનાથી એક પણ રૂપિયો પગાર ચૂકવવામાં આવ્યો નથી. વહીવટદારના શાસન હેઠળ ભંડોળ હોવા છતાં ટેકનિકલ કારણો કે ઉદાસીનતાને લીધે આ સેવકોના ઘરના ચૂલા સળગવા મુશ્કેલ બન્યા છે. પરંતુ, આ કપરી પરિસ્થિતિમાં પણ માનવતા અને અતૂટ આસ્થાના દર્શન થાય છે. મંદિરમાં રસોઈ બનાવતી ત્રણ બહેનો, જેઓ પોતે આર્થિક રીતે સામાન્ય વર્ગની છે, તેઓએ શિવજીનો ભોગ અટકવા દીધો નથી. આ બહેનો છેલ્લા એક વર્ષથી બહારથી ઉછીના પૈસા લાવીને પણ ભગવાનને ભોગ અર્પણ કરવાની પરંપરા જાળવી રહી છે. એક તરફ તંત્રની બેદરકારી છે, તો બીજી તરફ ગરીબ સેવકોની મહાદેવ પ્રત્યેની અનન્ય નિષ્ઠા છે. સ્થાનિકોમાં હવે એવી માંગ ઉઠી રહી છે કે વહીવટી તંત્ર જાગે અને તાત્કાલિક અસરથી આ સેવકોના બાકી પગાર ચૂકવે જેથી મંદિરની વ્યવસ્થા સુધરે. પગાર મળતો નથી ને મહિને 12 હજારનો ખર્ચહાલ મંદિરમાં મહિને 12000 જેટલો ખર્ચ થઈ રહ્યો છે. સેવકોને પગાર છેલ્લે 18/11/2024 ના મળ્યો હતો. ત્યારબાદ પગાર મળવાનું બંધ છે. અહીં 28 સમાધિ આવેલી છે. એનો મતલબ આ મંદિર ખુબજ જૂનું છે

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 4:00 am

ખીસ્સામાં રાખેલા ફટાકડા ફૂટતા ગંભીર રીતે દાજી ગયો'તો:પ્લાસ્ટિક સર્જરી વિભાગની પીડિયાટ્રિક સારવારની ઉપલબ્ધિ, બે મહિનાની જલનની પીડામાંથી મુક્તિ બાદ હસતા હસતા સિવિલમાંથી ડિસ્ચાર્જ લેતો યુગ

દિવાળીનો તહેવાર એટલે નવું વર્ષ આ તહેવારને લોકો ઉત્સાહ અને ઉમંગથ ઉજવતા હોય છે જો કે રાજકોટના વેજાગામ ખાતે રહેતા કલોલા પરિવાર માટે આ તહેવાર આફત બનીને આવ્યો હતો. કારણ કે દિવાળીના તહેવાર પર દિલીપભાઈ કાલોલાનો પુત્ર યુગ (ઉ.વ.9) ખિસ્સામાં ફટાકડા લઈને ફટાકડા ફોડી રહ્યો હતો દરમિયાન ખિસ્સામાં રહેલ ફટાકડા કોઈ કારણોસર ફૂટવા લાગતા યુગને શરીરમાં કમરથી નીચેના ભાગે બન્ને પગમાં દાજી જવાથી ગંભીર ઇજા પહોંચી હતી જો કે આ પછી સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના તબીબો દ્વારા કરવામાં આવેલ અથણ મહેનતથી 9 વર્ષના બાળકને એક નવું જીવન મળ્યું હોય તેમ તે પોતે હસતા હસતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવી ચાલીને પોતાના ઘરે ગયો હતો. યુગના પિતા દિલીપભાઈ કલોલાએ જણાવ્યું હતું કે, યુગ દાજી જવાના કારણે તેમને તાત્કાલિક પ્રારંભિક સારવાર ખાનગી હોસ્પિટલમાં આપવામાં આવી હતી પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ વધારે ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે બર્ન્સ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો અહીં તેમને એક દિવસ પ્રાથમિક સારવાર બાદ પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં આગળની સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. સિવિલ અધિક્ષક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના હેડ ડો. મોનાલી માકડીયાની ટીમની સર્જરીઓ, નિયમિત ડ્રેસિંગ અને બે માસની સંભાળ બાદ યુગને હવે સારું થતા રજા આપવામાં આવી છે. યુગ હસતા હસતા ધીમા ડગલે આવજો આવજો કહેતા કહેતા ચાલી રહ્યો હતો ત્યારે સ્ટાફના ચહેરા પર માનવીય સેવા કર્યાનો આનંદ સ્પષ્ટ દેખાતો હતો. યુગનાં પિતા દિલીપભાઈ કલોલાએ વધુમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં યુગની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફે જે રીતે સારવાર કરી તે અવિસ્મરણીય છે. અહીંના ડોક્ટર્સ અને સ્ટાફની મહેનતનાં કારણે મારા બાળકને હવે સારું છે. આજે મારું બાળક ફરી ચાલી શકે છે. જ્યારે અહીં દાખલ થયા ત્યારે યુગના પગમાં ઇન્ફેક્શન થઇ ગયું હતુ તે ચાલી પણ શકતો ન હતો પરંતુ અહીંનાં ડોક્ટર્સની ટીમે ખૂબ સારી સારવાર કરી યુગના બંને પગ પ્લાસ્ટિક સર્જરીથી સાજા કરી આપ્યા છે. તમામ સારવાર નિઃશુલ્ક રીતે પૂરી પાડવા બદલ રાજ્ય સરકારનો પણ પરિવારજનોએ આભાર માન્યો હતો. પ્લાસ્ટિક સર્જરી વિભાગના રેસિડેન્ટ ડો. નિલેશ લાલવાણીએ બાળકની સારવાર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, બાળકને ફટાકડાના લીધે લોઅર એબ્ડોમેન, ઘૂંટણ સુધી બંને પગ અને પ્રાયવેટ પાર્ટમાં ડીપ બર્ન્સ થયું હતું. પ્રારંભિક સારવાર બાદ તેના પગ પર દાજી ગયેલા ભાગમાં સૌપ્રથમ કૃત્રિમ ચામડી અને ત્યારબાદ શરીરના અન્ય ભાગમાંથી ચામડી લઈ સર્જરી કરવામાં આવી છે. રૂટિન ડ્રેસિંગ બાદ હાલ ચામડીમાં રૂજ આવી ગઈ છે. હવે બાળક સારી રીતે ચાલી શકે છે. જેથી તેને આજરોજ રજા આપવામાં આવી છે. જો કે હજુ તેને સંપૂર્ણ સ્વસ્થ થતા થોડો સમય લાગશે. તેને ફિઝિયોથેરાપી પણ લેવી પડશે. ઉલ્લેખનીય છે કે ડો. મોનાલીબેન માકડિયાના માર્ગદર્શનમાં પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં 9 જેટલા દાજી ગયેલા બાળકોની હાલ સઘન સારવાર ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 1:14 am

31stની લઈને અમદાવાદનો CG-રોડ અને સિંધુભવન-રોડ બંધ:તમામ વિસ્તારોમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર, જાણો ક્યાં વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી શકશો

31 ડિસેમ્બરે લઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કારણ કે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ રાત્રિના સમયે નવા વર્ષની ઉજવણી કરવા મોટી જનમેદની ઉમટી પડતી હોય છે, જેને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સી.જી.રોડના સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી 31 ડિસેમ્બરના સાંજે 6 વાગ્યાથી 1 જાન્યુઆરી મોડીરાતના 3 વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી લગાવવામાં આવી છે. જ્યારે સિંધુ ભવન રોડ પર ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાય લાઈન ચાર રસ્તા સુધીનો બંને તરફનો માર્ગ બંધ રહેશે. વૈકલ્પિક અવરજવર માટેનો રૂટસમથેશ્વર મહાદેવથી બોડી લાઇન ચાર રસ્તા, ગુલબાઈ ટેકરાથી બોડી લઈને ચાર રસ્તા થઈ સમથેશ્વર મહાદેવ તરફ બંને બાજુનો રોડ ચાલુ રાખીને સી.જી.રોડ ક્રોસ કરી શકાશે. પરંતુ સીજી રોડ ઉપર વાહનહંકારી શકાશે નહીં. મીઠાખળી સર્કલથી ગિરીશ કોલ્ડ્રીંક્સ ચાર રસ્તા થઈ સેન્ટ ઝેવિયર્સ રોડ તથા નવરંગપુરા બસ સ્ટેન્ડ થી સ્વસ્તિક ચાર રસ્તા થઈ કોમર્સ છ રસ્તા થઈ સી.જી.રોડ જઈ શકાશે. નો ડ્રોન ફલાય ઝોન 27 ડિસેમ્બર સાંજે 6થી 28મીના રાત્રે 12 વાગ્યા સુધી અમલઅમિત શાહના પ્રવાસને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ડ્રોન, ક્વાડ કોપટર, પાવર્ડ એરક્રાફ્ટ, તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, પેરા મોટર, હોટ એર બલૂન ચલાવવાની કરવાની મનાઈ ફરવામાં આવી છે. નો ડ્રોન ફલાય ઝોન 27 ડિસેમ્બર સાંજે 6 વાગ્યાથી 28 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી અમલમાં રહેશે. જાહેર જનતાની સલામતીને ધ્યાનમાં રાખીને આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો તેના સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ મુજબ કાર્યવાહી પણ કરવામાં આવશે. સિંધુ ભવન રસ્તો બંધ રહેશેઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાય લાઈન ચાર રસ્તા સુધીનો બંને તરફનો માર્ગ પર 31 ડિસેમ્બર રાત્રે 8 વાગ્યાથી 1 જાન્યુઆરી મોડીરાતના 3 વાગ્યા સુધી વાહનોની અવર-જવર માટે પ્રવેશબંધી લગાવવામાં આવી છે. વૈકલ્પિક અવરજવર માટેનો રૂટઝાઝરમાન ચાર રસ્તાથી અશ્વમેઘ બંગલો ચાર રસ્તા થઈ કાલી બારી મંદિર રોડ થઈ ઉમિયા ટ્રેડર્સ ટી થઈ તાજ સ્કાય લાઈન તરફ જઈ શકાશે. ઝાઝરમાન ચાર રસ્તાથી બાગમાં ચાર રસ્તા થઈ આંબલી ઓવરબ્રિજ મધ્ય ભાગ થઈ શીલજ સર્કલ તરફ જઈ શકાશે. આ રસ્તો મોડીરાતના 3 વાગ્યા સુધી અવરજવર કરી શકશોતેમજ શહેરમાં સવારે 8 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી ભારે તથા મધ્યમ પ્રકારના માલવાહક અને પેસેન્જર વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પેસેન્જર વાહન સિવાયના તમામ પ્રકારના વાહનો એસ.જી હાઈવે એટલે કે સરખેજ ગાંધીનગર હાઇવે પર 31 ડિસેમ્બર રાત્રે 8 વાગ્યાથી 1 જાન્યુઆરી મોડીરાતના 3 વાગ્યા સુધી અવરજવર કરી શકશે નહીં. વાહનચાલકોએ પ્રતિબંધિત વિસ્તાર સિવાયના સરદાર પટેલ રિંગરોડનો ઉપયોગ કરવો પડશે. આ રોડ પર પાર્કિંગ પર પણ પ્રતિબંધ મુકાયોપકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધીના એસ.જી. રોડ અમે તેના સર્વિસ રોડ પર 31 ડિસેમ્બરના સાંજે 7 વાગ્યાથી 1 જાન્યુઆરી મોડીરાતના 3 વાગ્યા સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નહેરુનગર સર્કલથી શિવરંજની ચાર રસ્તા થઈ ઇસ્કોન ચાર રસ્તા સુધી રોડ પર ખાનગી લક્ઝરીના પાર્કિંગ પર પણ પ્રતિબંધ મુકાયો છે. જોકે ફરજમાં રોકાયેલા તમામ સરકારી વાહનો, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સના વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહીં. ઉત્તરાયણને લઈને જાહેરનામુંઅમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ઉતરાયણના તહેવારને લઈને પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી કોઈપણ વ્યક્તિ જાહેર માર્ગ પર કોઈપણ વ્યક્તિને બીજા અથવા ભય પહોંચાડે તેવી રીતે પતંગ ઉડાવી શકશે નહીં. તેમજ જાહેર માર્ગ પર દોડી પતંગ પણ પકડી શકાશે નહીં. ઉતરાયણના તહેવાર દરમિયાન અકસ્માતોની ઘટના બનતી રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કોઈપણ વ્યક્તિ જો આ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેના સામે કાર્યવાહી પણ થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 12:05 am

તંત્રના પાપે યુવકનું ખુલ્લી ગટરમાં પડતા મોત:વડોદરાના માંજલપુરમાં 15 ફૂટ ઊંડી ખુલ્લી ચેમ્બરમાં યુવક પડ્યો, ફાયરનું લાઇવ રેસ્ક્યુ, યુવકનું મોત

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મહાનગરપાલિકાની બેદરકારીના કારણે વધુ એક નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિસ્તારમાં ગટરનો મેનહોલ ખુલ્લો રાખવામાં આવ્યો હતો. જેમાં એક 40 વર્ષીય યુવક મેનહોલમાં પડી ગયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. સમગ્ર બનાવમાં ફાયર વિભાગની મદદથી 15 ફૂટ ઊંડી ચેમ્બરમાંથી 10 મિનિટમાં યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વગર મેનહોલને ખુલ્લું મૂકી દેવાયું હતુંવડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની ટાંકીની સફાઈની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન પાણીના નિકાલ માટે ગટરની ચેમ્બરનું મેનહોલ કવર ખોલી નાખવામાં આવ્યું હતું. જોકે, કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કે ચેતવણીના બોર્ડ વગર આ મેનહોલને ખુલ્લું મૂકી દેવાયું હતું. પરિણામે, વિપુલસિંહ ઝાલા નામનો યુવક મેનહોલમાં પડી ગયો હતો.જેના લીધે યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે માત્ર 10 મિનિટમાં 15 ફૂટ ઊંડા ચેમ્બરમાંથી યુવકને બહાર કાઢ્યોસમગ્ર ઘટનાની જાણ થતાં જ વડોદરા જીઆઇડીસી ફાયર સ્ટેશનની ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે માત્ર 10 મિનિટમાં 15 ફૂટ ઊંડા ચેમ્બરમાંથી યુવકને બહાર કાઢ્યો હતો, બાદમાં તેને ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. આ મામલે માંજલપુર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. શું નાગરિકોના જીવની કોઈ કિંમત નથી?આ ઘટનાને લઈને સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેઓનું કહેવું છે કે, આ માત્ર અકસ્માત નથી, પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે થયેલી હત્યા સમાન છે. શું નાગરિકોના જીવની કોઈ કિંમત નથી? જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકોમાં માગ ઊઠી છે. આ ઘટનાને લઇ માંજલપુર પોલીસે હાલમાં અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે મૃતક યુવકના પરિવારજન ગિરિરાજ ચુડાસમાએ જણાવ્યું હતું કે, તે મારા નાના સાઢુભાઈ છે. અમે બધા જમવા માટે ગયા હતા અને તેમને મને કહ્યું હતું કે, હું ગાડી પાર્ક કરીને આવું છું, તમે ઉભા રહો. ગાડી પાર્ક કરીને આવ્યા ત્યારે અંધારું ખૂબ હતું તેઓ મળ્યા ન હતા અને આસપાસ શોધ્યા તો ક્યાંય ન મળ્યા. અમે કોલ લગાવ્યો તો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. ત્યાં એક ગટરનું ઢાંકણ ખુલ્લું હતું અને ટોચ મારીને જોયું તો તેઓના બૂટ ઉપર તરતા હતા. એટલે અમે તરત જ ફાયર અને 108 ને કોલ કર્યો હતો. આ ઘટનામાં જે કોઈ જવાબદાર છે. તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 12:03 am

પાટીદાર સિંગર આરતી સાંગાણીએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરતાં વિરોધ:રડતા રડતા પિતાએ કહ્યું, મજૂરી કરી અહીં પહોંચાડી, પાછી આવ નહીંતર પસ્તાઈશ, કથીરિયા પણ સામે પડ્યા

પોપ્યુલર સિંગર કિંજલ દવેએ આંતરજ્ઞાતિય યુવક સાથે સગાઈ કરતા તેના સમાજે બહિષ્કાર કર્યો હતો. આ જ રીતે હવે વધુ એક સિંગરના લવ મેરેજને લઈ વિવાદ થયો છે. સુરત શહેરની જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમલગ્નનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે પ્રેમ લગ્ન કર્યા છે. આ પ્રેમ લગ્નને લઈ સમાજ અને સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થયો છે. આ સામાજિક વિવાદ વચ્ચે યુવા પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરીયાનું મહત્વનું અને સૂચક નિવેદન સામે આવ્યું છે. તેમણે આ ઘટનામાં યુવતી દ્વારા મળેલી સ્વતંત્રતાના દુરુપયોગ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમજ દીકરીના પિતાએ રડતા રડતા દિવ્ય ભાસ્કર સામે વ્યથા ઠાલવી હતી. આરતીના પિતા લેસ પટ્ટીનું કામ એટલે કે સાડીના જોબ વર્કનું કામ કરે છે. તેમને કુલ 5 દીકરીઓ અને એક દીકરો છે. જેમાં આરતી અને તેની બહેન ટ્વીન્સ છે. જેમાં આરતી નાની છે. જ્યારે ભાઈ સૌથી નાનો છે. આ અંગે આરતીના પિતાએ જણાવ્યું હતું કે, હું વિનંતી કરું છું કે, તું પરત આવી જા અને સમાજ આપણો આપણી સાથે છે. આપણો પરિવાર આપણી સાથે છે. જે ભૂલ થઈ હોય ઈ..ઈ ભૂલને સુધારી નાખ. હજી સમય છે અને તું પરત આવી જા. પિતા સાથે છેલ્લે આ વાતચીત થઈ હતી'છેલ્લી મારે 16 ડિસેમ્બરે બપોરે એક થી દોઢ વાગ્યે વિડીયો કોલમાં વાત થઈ. ભાવનગર પ્રોગ્રામ હતો અને ભાવનગરથી પ્રોગ્રામ પૂરો કરીને વિડીયોમાં વાત થઈ અને પછી એણે કીધું કે હું સાંજે બસમાં બેસી જઈશ પપ્પા, સવારમાં હું પહોંચી જઈશ. મેં એને કીધું કે તું કામરેજ પહોંચે એટલે મને ફોન કરજે હું તને લઈ જઈશ. આ છેલ્લી વાત મારે થઈ હતી. પછી ફોન સ્વીચ ઓફ થઈ ગયો એટલે પછી મેં એક દિવસ પછી ગુમ થયાની ફરિયાદ બપોરે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.' 'એણે મને વિશ્વાસ આપ્યો તો કે હું દીકરી નહીં તમારો દીકરો છું'દીકરી સાથે 21 ડિસેમ્બરે વાત થઈ હતી. તેણે મને કહ્યું કે, મને અહીં રહેવા દ્યો. મેં એને કીધું કોઈ પ્રેશર કંઈ પણ હોય તો કે.. પણ તું પાછી આવી જા. હજી કંઈ નથી થઈ ગયું, ભૂલ થઈ જાય છોકરાથી ભૂલ થઈ જાય. પણ તું પરત આવી જા હજી તારો બાપ છે ત્યાં સુધી પરત આવી જા. મેં તેના પર પૂરેપૂરો વિશ્વાસ મુકેલો હતો.. અને એણે મને વિશ્વાસ આપ્યો તો કે હું દીકરી નહીં તમારો દીકરો છું. 'મેં તેના પર વિશ્વાસ મૂક્યો હતો પણ તેને વિશ્વાસઘાત કર્યો છે''પ્રેમ લગ્નમાં માતા-પિતાની સંમતિ બહુ જરૂરી છે, કેમ કે નાની બુદ્ધિમાં, નાની દીકરી હોય એને બુદ્ધિ ન ચાલે, તેને પસ્તાવાનું થાય...એના માટે બહુ સારું છે. મારી તો એક જ માંગ છે કે ગમે તે કરીને અને ભૂલ સુધારીને તું ઘરે પરત આવી જા, એ જ મારી માંગ છે. મેં તેના પર વિશ્વાસ મૂક્યો હતો પણ તેને વિશ્વાસઘાત કર્યો છે.' 'આરતીના માતા-પિતા 10 દિવસથી દીકરી માટે અત્યંત ચિંતામાં'અલ્પેશ કથીરીયાએ જણાવ્યું હતું કે, આરતીના માતા-પિતા છેલ્લા 10 દિવસથી પોતાની દીકરી માટે અત્યંત ચિંતામાં છે. ગત 17મી ડિસેમ્બરના રોજ આરતીના પિતાએ કાપોદ્રા પોલીસ મથકમાં દીકરી ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે, દુઃખદ બાબત એ છે કે દીકરી પ્રત્યક્ષ રીતે માતા-પિતા સાથે વાત કરવાને બદલે સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો પોસ્ટ કરીને જવાબો આપી રહી છે, જે પરિવાર માટે આઘાતજનક છે. સફળતા પાછળ સમાજ અને પરિવારનો સિંહફાળોકથીરીયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, આરતી આજે જે સ્ટેજ અને જે લેવલ પર પહોંચી છે, તેની પાછળ માત્ર તેની મહેનત નહીં પરંતુ તેના માતા-પિતા અને સમાજનો સિંહફાળો છે. જ્યારે વ્યક્તિ સમાજમાં કોઈ ચોક્કસ હોદ્દા કે સ્થાન પર હોય છે, ત્યારે તેના દ્વારા લેવાતા નિર્ણયોની સમાજ પર શું અસર થશે, તે વિચારીને પગલું ભરવું જોઈએ. અલ્પેશ કથીરીયાના મતે, હાલ જે ઘટના સામે આવી છે તેમાં પાટીદાર દીકરીએ તેને મળેલી સ્વતંત્રતાનો ખોટો ઉપયોગ કર્યો છે. 'સામાજિક વ્યવસ્થા જાળવવા પ્રેમલગ્નમાં વાલીની સંમતિ જરૂરી'અંતમાં અલ્પેશ કથીરીયાએ પ્રેમલગ્નમાં માતા-પિતાની સહીના કાયદાની હિમાયત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આવા કિસ્સાઓને કારણે જ પાટીદાર સમાજ સહિત 18 વર્ણના સમાજો સરકાર પાસે પ્રેમલગ્નમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત બનાવતા કાયદાની માંગ કરી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સામાજિક વ્યવસ્થા જાળવવા માટે આ કાયદો કેટલો જરૂરી છે. 'પટેલ સમાજમાં બહુ રોષ છે, બહુ વિરોધ છે'આ અંગે હિરેન ભેસાણીયા નામના પાટીદાર સમાજના સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે, આરતી સાંગાણીનો જે વિવાદ ચાલી રહ્યો છે, જે અન્ય સમાજમાં લગ્ન કરીને ભાગી ગઈ છે, જેથી પટેલ સમાજમાં બહુ રોષ છે, બહુ વિરોધ છે. સોશિયલ મીડિયા દ્વારા એટલું જાણવા મળ્યું છે કે આરતી સાંગાણીને પટેલ સમાજમાંથી બહિષ્કાર કરો, એને પટેલ સમાજના કાર્યક્રમમાં બોલાવો નહીં. પટેલ સમાજના જ્યાં પણ કાર્યક્રમ હોય, ત્યાં જઈને પ્રોગ્રામમાં વિરોધ કરો, પ્રોગ્રામ બંધ કરાવો. આટલો પટેલ સમાજમાં સોશિયલ મીડિયા દ્વારા રોષ જોવા મળી રહ્યો છે. કોણ છે આરતીનો પતિ?દેવાંગ ગોહેલ મૂળ ગોંડલનો રહેવાસી છે અને તબલા વાદક છે. બન્ને વચ્ચે દોઢ વર્ષ પહેલાં પ્રેમ પાંગર્યો હતો. ત્યાર બાદ 16 ડિસેમ્બરના રોજ દેવાંગ અને આરતી સાંગાણીએ લવ મેરેજ કરી લીધા હતા. આરતીના અનેક કાર્યક્રમોમાં દેવાંગ તબલા વગાડતો જોવા મળતો હતો. 'શું પ્રેમ કરવો કોઈ ગુનો છે?'સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટ્રોલિંગ અને ટીકાઓને લઈને આરતી સાંગાણીએ એક વીડિયો મારફતે પોતાની વાત રજૂ કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે સોશિયલ મીડિયામાં તેમના વિશે ચાલી રહેલા વીડિયો અને કોમેન્ટ્સ સામે તેમને કોઈ વિરોધ નથી. પોતાની લાગણી વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે, અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. શું પ્રેમ કરવો કોઈ ગુનો છે? સમાજના અગ્રણીઓને આરતીનો વેધક સવાલવીડિયોમાં આરતીએ ખાસ કરીને પટેલ સમાજના અગ્રણીઓ અને યુવાનોને ટાંકીને એક નિવેદન આપ્યું છે. તેમણે સમાજમાં પ્રચલિત નારાનો ઉલ્લેખ કરતા પ્રશ્ન કર્યો હતો કે, તમે 'બેટી બચાવો, બેટી પઢાઓ'ની વાતો કરો છો, તો શું એક દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો કોઈ અધિકાર નથી? 'લાગણી દુભાઈ છે, તે બદલ હું તેમની માફી માંગુ છું'પોતાના પ્રેમ લગ્નના નિર્ણયથી અમુક વર્ગ નારાજ હોવાની વાત સ્વીકારતા આરતીએ નમ્રતા દાખવી હતી. તેમણે કહ્યું કે, અમે જે કાર્ય કર્યું છે તેનાથી ઘણા લોકોને દુઃખ થયું છે અને લાગણી દુભાઈ છે, તે બદલ હું તેમની માફી માંગુ છું. અંતમાં, આરતી સાંગાણીએ આશા વ્યક્ત કરી હતી કે લોકો તેમના આઝાદીથી અને સન્માનપૂર્વક જીવવાના અધિકારને સમજશે. આરતી સાંગાણીનો સમગ્ર વિવાદ શું છે?સુરતની જાણીતી સિંગર આરતી સાંગાણી પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે પ્રેમ લગ્ન કર્યા છે. જોકે, આ લગ્નને પગલે સોશિયલ મીડિયા પર તેમને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે અને ઘણી જગ્યાએ ટીકાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આ તમામ બાબતો વચ્ચે આરતી સાંગાણીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને ટીકાકારોને જવાબ આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 27 Dec 2025 12:01 am

પોલીસ કમિશ્નરનું જાહેરનામું:બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગડર લોન્ચિંગ કામગીરીના કારણે અલકાપુરી ગરનાળુ 18 દિવસ બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

વડોદરા શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં શહેરમાં મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેકટ C-5 પેકેજની સિવિલ વર્કની કામગીરી વડોદરા ખાતે ચાલી રહી છે. કડક બજારથી અલકાપુરી ગરનાળા તરફના રોડ ઉપર ગડર લોન્ચિંગની કામગીરી કરવાની હોય હોવાથી અલકપુરી ગરનાળુ બંધ રહેશે. શહેરના અલકાપુરી ગરનાળા અંદરથી અવર-જવર કરતાં તમામ પ્રકારના વાહનોને તા.26/12/2025 થી તા.12/01/2026 સુધી ટ્રાફિક ડાયવર્જન આપવા આવ્યું છે. આ કામગીરી દરમ્યાન શહેરી જનોને અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું પોલીસ કમિશ્નર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. પ્રતિબંધીત રસ્તો કડકબજાર નાકાથી અલકાપુરી ગરનાળા થઈ અલકાપુરી રોડ તરફ જઈ શકાશે નહી. વૈકલ્પિક વ્યવસ્થા કડકબજાર નાકાથી રેલવે સ્ટેશન તરફ તથા કાલાઘોડા થી ડેરીડેન સર્કલ, સુર્યા પેલેસ હોટલ ચાર રસ્તા, જેતલપુર બ્રિજથી વલ્લભચોક થઈ જે-તે તરફ જઈ શકાશે. પ્રતિબંધીત રસ્તો પ્રોડક્ટીવીટી નાકા થી અલકાપુરી ગરનાળા થઈ સયાજીગંજ રોડ- સ્ટેશન તરફ જઈ શકાશે નહી. વૈકલ્પિક વ્યવસ્થા પ્રોડકટીવીટી નાકા થી વલ્લભ ચોક ચાર રસ્તા થઈ જેતલપુર બ્રિજ થઈ જે-તે તરફ જઈ શકાશે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 11:09 pm

વર્ષના અંતિમ દિવસે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે:ચૂંટણી પૂર્વે 45 કરોડના વિકાસકામોની લાણી, ભાવનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 54 એજન્ડા રજૂ થશે

ભાવનગર મહાનગરપાલિકા ખાતે આગામી તા. 31 ડિસેમ્બરના રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે, જેમાં અંદાજિત 45.37 કરોડના વિવિધ વિકાસકામોને મંજૂરી આપવામાં આવશે. શહેરમાં રોડ રસ્તા, ડ્રેનેજ, પાણી સહિત પ્રાથમિક સુવિધાના અનેક કામોને મંજૂરી આપવા અંગે ચર્ચાઓ થશે, ત્યાર બાદ તમામ વિકાસ કામોને લીલીઝંડી આપવા અંગે નિર્ણય થશે. સ્ટેન્ડિંગ કમિટીમાં 54 વિકાસલક્ષી એજન્ડા પર ચર્ચાઆગામી દિવસોમાં ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે એવું લાગી રહ્યું છે કે શહેરમાં અનેક વિકાસકામોની લાણી થઈ રહી છે, ત્યારે આગામી તા.31 ડિસેમ્બરના રોજ ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી હોલ ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે, જેમાં 54 વિકાસલક્ષી એજન્ડાઓ પર ચર્ચા કરવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાં પેવિંગ બ્લોક, રિકાર્પેટ કરવાના કામો, પેવર રોડના કામો, ડ્રેનેજ વિભાગના સ્ટોરરૂમનું બાંધકામ, અકવાડા 1.50 એમએલ કેપેસિટીની ઇએસઆર અને 2 એમએલ કેપેસિટીનો સંપ બનાવવા સહિત અનેક કામોને આગામી 31 ડિસેમ્બરના મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી આપવા અંગે મહત્વના નિર્ણય કરવામાં આવશે. આ સાથે ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (આઈ.સી.સી.સી.), સી.સી.ટી.વી. સર્વેલન્સ સિસ્ટમ, ઓ.એફ.સી. નેટવર્ક અને અન્ય આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ (પાંચ વર્ષનાં ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ સાથે) માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્ટ તરીકે એજન્સીની નિમણૂંક કરવા મંજુરી આપવા અંગે નિર્ણય કરવામાં આવનાર છે. તેમજ પ્રધાનમંત્રી ઈ-બસ સેવા યોજના હેઠળ ભાવનગર શહેરને 100 ઈલેક્ટ્રીક બસોના સુચારૂ સંચાલન માટે રકમ રૂપિયા 14,68,08,000 + જી.એસ.ટીના ખર્ચથી ફેર કલેક્શન એજન્સી ની નિમણૂંક કરવાની મંજુરી આપવા અંગે પણ નિર્ણય કરવામાં આવનાર છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 10:56 pm

પશ્ચિમ વિસ્તારમાં ત્રણ અકસ્માતમાં ચારનાં મોત:શીલજ, ઇન્કમટેક્સ અંડરબ્રિજ અને સાબરમતીમાં યુવકો અને આધેડના કરુણ મોત, પોલીસ તપાસમાં

અમદાવાદ શહેરમાં અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં અલગ-અલગ ત્રણ અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્રણ યુવક અને એક આધેડનું અકસ્માતમાં મોત થયું હતું. ઇન્કમટેક્સ અંડરબ્રિજમાં પેંડલ રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં આધેડનું મોત થયું હતું. સાબરમતી વિસ્તારમાં પૂરપાટ ઝડપે બાઇક ચાલક ટેમ્પો સાથે અથડાયો હતો જેમાં તેનું મોત નીપજ્યું હતું. શીલજમાં સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યા બાદ દિવાલ સાથે ધડાકાભેર અથડાતા બાઇક પર સવાર બે યુવકના મોત થયા હતું. ત્રણેય અકસ્માતની ઘટનામાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પેંડલ રિક્ષામાં બાઈક ઘૂસી જતા અકસ્માત સર્જાયોવસ્ત્રાપુરમાં રહેતા 52 વર્ષીય પ્રકાશ સંતાની પરિવારને બાઇક પર લઈને જઈ રહ્યા હતા. 25 ડિસેમ્બરે પરિવાર સાથે બાઇક લઈને ઇન્કમટેક્સ પહોંચ્યા હતા. જ્યાં અંડરબ્રિજમાં અકસ્માત સર્જાયો હતો. પથ્થર ભરેલી પેંડલ રિક્ષામાં બાઈક ઘૂસી જતા 52 વર્ષીય પ્રકાશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી, તેમણે તત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે, અન્ય લોકોને સામાન્ય ઇજા જ પહોંચી હતી પરંતુ, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પ્રકાશભાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. અકસ્માતમાં પ્રકાશભાઈનું મોત થયા બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે. કાંકરિયામાં ટેમ્પોએ બાઈકને અડફેટે લીધીતો સાબરમતી વિસ્તારમાં રહેતા નીતિનકુમાર પ્રજાપતિ 25 ડિસેમ્બરે ટેમ્પો લઈને નીકળ્યા હતા. નીતિનભાઈ કંપનીનો ટેમ્પો લઈને સામાન આપવા માટે કાંકરિયા તરફ જઈ રહ્યા હતા. જ્યાં પૂરપાટ ઝડપે આવી રહેલા સંદીપસિંહે અકસ્માત સર્જ્યો હતો. બાઈક લઈને આવેલા સંદીપસિંહનો ટેમ્પો સાથે અકસ્માત થતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ લોકોની ટોળું પણ ભેગું થઈ ગયું હતું. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બાઈકની સ્પીડ વધુ હોવાથી કાબૂ ગુમાવતા બાઇક સીધી દીવાલ સાથે ધડાકાભેર અથડાઈત્રીજો અકસ્માત શીલજ વિસ્તારમાં સર્જાયો હતો. બાઈક પર બે યુવકો પૂરપાટ ઝડપે આવી રહ્યા હતા. બાઈક પર કલોલમાં રહેતો 19 વર્ષીય અરવિંદ કટારા અને 18 વર્ષીય શૈલેષ ડામોર સવાર હતા. બંને યુવકો બાઇક પર શીલજ તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન શીલજ કેનાલ પર બાઈકની સ્પીડ વધુ હોવાથી કાબૂ ગુમાવતા બાઇક સીધી દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં બંને યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેથી સારવારમાં બંને યુવકોના મોત થયા હતા. જેને લઇને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 10:48 pm