હિંમતનગર ઓવરબ્રિજ પરથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ:કાર ચાલક ઝડપાયો, ચાર સામે ગુનો નોંધાયો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નેશનલ હાઈવે 48 પર સિવિલ ચાર રસ્તા પરના ઓવરબ્રિજ પરથી LCBએ વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ચાલકને ઝડપી પાડ્યો હતો. રાજસ્થાનથી અમદાવાદ જઈ રહેલી આ કાર અંગે બાતમી મળી હતી. આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સાબરકાંઠા LCB ટીમ હિંમતનગર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે, LCBએ નવી સિવિલ ચાર રસ્તા પરના ઓવરબ્રિજ પર નાકાબંધી કરી હતી. રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશી અમદાવાદ જઈ રહેલી એક સ્વિફ્ટ ડિઝાયર ગાડીને રોકવામાં આવી હતી. આ ગાડીમાંથી 576 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ.2,64,080 થાય છે. કાર સહિત કુલ રૂ.7,73,080નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ધામોદ, તા. વીછીંવાડા, જિ. ડુંગરપુર (રાજસ્થાન)ના સુનીલ વિશ્રામભાઈ સેંગાભાઈ ભગોરા નામના ચાલકની ધરપકડ કરી છે. આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે. તેમાં ધામોદ, તા. વીછીંવાડા, જિ. ઉદેપુર (રાજસ્થાન)નો પિન્ટુ વિશ્રામભાઈ ભગોરા સામેલ છે, જેણે દારૂ ભરી આપ્યો હતો અને પાયલોટિંગ પણ કર્યું હતું. પાયલોટિંગમાં તેની સાથે રહેલો એક અજાણ્યો ઈસમ પણ વોન્ટેડ છે. આ ઉપરાંત, અમદાવાદ ખાતે દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા ઈસમની પણ શોધખોળ ચાલી રહી છે.
ગીર સોમનાથના પ્રભાસપાટણ ખાતે તંત્ર દ્વારા હાથ ધરાયેલા મેગા ડિમોલિશન અભિયાન દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. સરકારી જમીન પરથી ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી હતી. આ દરમિયાન એક ધાર્મિક સ્થળના ડિમોલિશનને લઈને સ્થાનિકોમાં નારાજગી દેખાઈ હતી. ઘટનાસ્થળે એકઠા થયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જ્યારે ટીયરગેસના 3 શેલ છોડાયા હોવાનું એસપી દ્વારા જણાવાયું છે. માહિતી મુજબ, ઘટનાસ્થળે મહિલાઓના ટોળાએ પણ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. તણાવ વધતાં પોલીસે વધારાનો બંદોબસ્ત બોલાવી સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.સરકારી જમીન પરના ગેરકાયદે કબજાઓ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન થયેલા આ વિવાદ બાદ તંત્રએ વિસ્તારને કોર્ડન કરી સુરક્ષા વધુ કડક બનાવી છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું તંત્રના સૂત્રો દ્વારા જણાવાયું છે, જોકે સ્થાનિકોમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. સોમનાથમાં છેલ્લા કેટલાક દિવસોથી તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો સામે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. આ ડ્રાઈવમાં અનેક રહેણાંક અને વેપારી ઇમારતોને પણ તોડી પાડવામાં આવી છે.
ભારતના ચૂંટણી પંચની સૂચના અન્વયે હાલમાં તા. 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત મતદારોની ગણતરી અંગે તા.15, 16,22 અને 23 નવેમ્બરના એટલે કે બે શનિવાર અને બે રવિવારે પણ તમામ મતદાન મથકો ઉપર સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી BLO ઉપસ્થિત રહેશે. મતદારોના મેપિંગ, લિંન્કિંગ વગેરે પ્રશ્નોના નિવારણ માટેની આ ખાસ વ્યવસ્થાનો લાભ લેવા કલેકટરે પણ અનુરોધ કર્યો છે. મતદાન મથકો પર શનિ-રવિ પણ BLO બપોરે 1 વાગ્યા સુધી હાજર રહેશેભારતના ચૂંટણી પંચની સૂચના અન્વયે હાલમાં ચાલી રહેલા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) ને વધુ સરળ અને અસરકારક બનાવવા માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લાના તમામ મતદારોને ચોક્કસ દિવસોએ મતદાન મથક પર જઈને પોતાના પ્રશ્નોનું નિવારણ મેળવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મેહુલ દવે દ્વારા જણાવાયું છે કે, મતદારોની ગણતરી અંગે તા.15, 16,22 અને 23 નવેમ્બરના એટલે કે બે શનિવાર અને બે રવિવારે પણ તમામ મતદાન મથકો ઉપર સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી BLO ઉપસ્થિત રહેશે. લોકો પોતાના હક્ક માટે આ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેમતદારોને આ દિવસોનો લાભ લેવા માટે ખાસ અનુરોધ છે. આ સમય દરમિયાન BLOs દ્વારા મતદારોને પોતાના ઘરનું મેપિંગ અથવા આધાર કાર્ડ સાથે લિન્કિંગ કરાવવું હોય તો તે અંગેની કાર્યવાહી કરી આપવામાં આવશે. આ ઉપરાંત જે મતદારોના નામ અથવા તેમના માતા-પિતા/ દાદા-દાદીનું નામ વર્ષ-2002ની મતદારયાદીમાં ન હોય એવા કિસ્સામાં કયા-કયા પુરાવાઓ રજૂ કરવા તે અંગેનું સચોટ માર્ગદર્શન મળશે. કલેક્ટરે મતદારોને વિનંતી કરી છે કે, તેઓ આ વિશેષ દિવસોએ પોતાના સંબંધિત મતદાન મથકોની મુલાકાત લે અને મતદાર યાદીની શુદ્ધતા તેમજ પોતાના હક માટે આ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લે.
સુરત શહેરમાં બાંધકામ સાઇટ્સ પર જઈને ધાક-ધમકી આપી ખંડણી ઉઘરાવતા તત્ત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. લીંબાયત વિસ્તારમાં એક બિલ્ડરને માનસિક ત્રાસ આપી, પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપીને ખંડણી માગવાના આરોપસર પોલીસે કોંગ્રેસના પૂર્વ વોર્ડ પ્રમુખની ધરપકડ કરી છે. ભૂતકાળમાં રાજકીય પદ ધરાવતા આ આરોપીએ ખોટી ઓળખ આપીને બિલ્ડર પાસેથી મોટી રકમ પડાવી હતી. શું હતો સમગ્ર મામલો?લીંબાયત વિસ્તારમાં મોહમ્મદ ફયાઝ મિર્ઝા નામના બિલ્ડરની એક કન્સ્ટ્રક્શન સાઇટ આવેલી છે. આ સાઇટ પર મોહમ્મદ જમાલ સાદિક અન્સારી નામનો વ્યક્તિ પહોંચ્યો હતો. પોલીસ તપાસ મુજબ, આરોપી મોહમ્મદ શાદિક અન્સારીએ બિલ્ડર ફયાઝ મિર્ઝા સમક્ષ પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી હતી, જે સંપૂર્ણપણે ખોટી હતી. ખોટી ઓળખ આપ્યા બાદ તેણે બિલ્ડરને ધમકી આપી હતી કે, બાંધકામમાં ખામીઓ છે અને જો તેને ચાલુ રાખવું હોય તો 2 લાખની ખંડણી આપવી પડશે. જો ખંડણી નહીં આપવામાં આવે તો તે બાંધકામ તોડાવી નાખશે. આરોપીએ માત્ર ધમકી જ નહીં આપી, પરંતુ બિલ્ડરનું ચાલી રહેલું બાંધકામ તોડાવી પણ પાડ્યું હતું. હપ્તે-હપ્તે ખંડણી વસૂલવાની મોડસ ઓપરેન્ડીબાંધકામ તોડાવ્યા બાદ આરોપી મોહમ્મદ જમાલ અન્સારીએ ફરીથી બિલ્ડરનો સંપર્ક સાધ્યો અને બાંધકામ ફરી શરૂ કરવા દેવાના બદલામાં 2 લાખની માંગણી કરી હતી. વારંવારની ધમકીઓ અને દબાણને કારણે કંટાળેલા બિલ્ડરે શરૂઆતમાં તેને તબક્કાવાર રકમ આપવાનું શરૂ કર્યું. આરોપીએ આ બિલ્ડર પાસેથી પહેલાં 83,000 જેટલી રકમ પડાવી લીધી હતી. આટલેથી ન અટકતાં, તેણે ફરીથી ગુગલ પે મારફતે વધુ 15,000 ની ખંડણી વસૂલી હતી. આમ, પૂર્વ કોંગ્રેસ વોર્ડ પ્રમુખે બિલ્ડર પાસેથી હપ્તે-હપ્તે મોટી રકમ પડાવી, જેના કારણે બિલ્ડર મોહમ્મદ ફયાઝ મિર્ઝા માનસિક ત્રાસથી અત્યંત કંટાળી ગયો હતો.આરોપીના વારંવારના ત્રાસ અને ખંડણીની માંગણીથી કંટાળીને બિલ્ડર મોહમ્મદ ફયાઝ મિર્ઝાએ આખરે હિંમત કરીને લીંબાયત પોલીસ મથકમાં સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. બિલ્ડરની ફરિયાદના આધારે, લીંબાયત પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આરોપી મોહમ્મદ જમાલ સાદિક અન્સારી સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં એ હકીકત સામે આવી છે કે, આરોપી મોહમ્મદ જમાલ અન્સારી ભૂતકાળમાં કોંગ્રેસ પક્ષનો વોર્ડ પ્રમુખ રહી ચૂક્યો છે અને તેણે પોતાના અંગત ફાયદા માટે પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપી હતી. એક જવાબદાર રાજકીય પદ પર રહેલા વ્યક્તિ દ્વારા આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવતા, રાજકીય અને વેપારી આલમમાં ચકચાર મચી જવા પામી છે.હાલમાં લીંબાયત પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આવતીકાલે મંગળવારે ચેરમેન જયમીન ઠાકરે બોલાવી છે, જેમાં કુલ 52 દરખાસ્તો પર નિર્ણય લેવામાં આવશે. આ દરખાસ્તોમાં પૂર્વ ઝોનમાં રૂ. 9.66 કરોડના ખર્ચે રસ્તાઓ પર મેટલીંગ કરવા, જુદા-જુદા વોર્ડમાં સફાઈ અને કચરો ઉપાડવાના કોન્ટ્રાક્ટની મુદત વધારવા તેમજ ન્યારી ડેમ પર ઇન્ટેક વેલ સહિત વોટર વર્ક્સના કરોડોના કામોમાં ઊંચા 'ઓન'ના ભાવ મંજૂર કરવા સહિતના મહત્ત્વના નિર્ણયોનો સમાવેશ થાય છે. પૂર્વ ઝોનના 6 વોર્ડમાં રૂ. 9.66 કરોડના ખર્ચે રોડનું મેટલીંગમહાનગરપાલિકા દ્વારા ચોમાસા પછી એક્શન પ્લાન અંતર્ગત નવા રોડ-રસ્તા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, પૂર્વ ઝોનના વોર્ડ નં. 4, 5, 6, 15, 16 અને 18માં જુદી-જુદી સોસાયટીના યુટિલિટી રોડનું રિસ્ટોરેશન અને ટીપી રોડ પર મેટલીંગ કરવા માટે રૂ. 9.66 કરોડનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે. આ કામ પવન કન્સ્ટ્રક્શન કંપનીને 14.04% ઓછા ભાવથી આપવા માટે ભલામણ કરાઈ છે. ઉપરાંત, આ છ વોર્ડમાં અમૃત-2.0 યોજના હેઠળ ડીઆઈ પાઈપ અને ડ્રેનેજ પાઈપલાઈનનું કામ પૂર્ણ થયા બાદ રૂ. 11.25 કરોડના ખર્ચે મેટલીંગ અને પેવર કામ કરવાની દરખાસ્ત પણ મંજૂરી માટે રજૂ કરાઈ છે. આ સાથે વોર્ડ નં. 12ના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં રસ્તાઓનું મેટલીંગ અને નવા ભળેલા વિસ્તારમાં ડિવાઇડર બનાવવા માટેની દરખાસ્ત પણ સામેલ છે. ન્યારી પર ઇન્ટેક વેલ સહિત વોટર વર્ક્સના કામોમાં ઊંચી 'ઓન' ન્યારી ડેમ પર ઇન્ટેક વેલ: 150 એમએલડીનો ઇન્ટેક વેલ બનાવવા માટે રૂ. 14.53 કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં ફિનિક્સ પ્રોજેક્ટ લી. એ 28.32% વધુ 'ઓન' એટલે કે રૂ. 21.89 કરોડના ખર્ચે આ કામ આપવા માટેની દરખાસ્ત મૂકી છે. મેઇન્ટેનન્સના કામો: ન્યારી ઝોન, ભાદર ઝોન, હડાળા, બેડી, ન્યારાના પમ્પિંગ સ્ટેશન અને ફિલ્ટર પ્લાન્ટ સહિતના મેઇન્ટેનન્સ અને નવી પાઇપલાઇનના કામોમાં 36% થી 54% સુધીની ઊંચી 'ઓન' સાથે નવા ઝોનલ કામોના કોન્ટ્રાક્ટની દરખાસ્ત મુકવામાં આવી છે. પ્રોજેકટ મેનેજમેન્ટ યુનિટ માટે રૂ. 7.67 કરોડનો દ્વિવાર્ષિક કોન્ટ્રાક્ટ મહાપાલિકામાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ (PMU) ના સંપૂર્ણ સંચાલન માટે ખાસ એજન્સી રોકવામાં આવશે. આ અંગે ઉચ્ચ ટેકનિકલ સ્ટાફ રોકવા માટે ડિલોઇટ ટચ તોહમાત્સુ ઇન્ડિયા એલએલપી (Deloitte Touche Tohmatsu India LLP) ને બે વર્ષનો રૂ. 7.67 કરોડનો મોટો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે. આ કંપની પ્રોજેક્ટ ડિરેક્ટરની 1 જગ્યા, પ્રોજેક્ટ મેનેજર, અર્બન મેનેજરની 5 જગ્યા, ટેકનિકલ સપોર્ટ સ્ટાફની 2 અને સપોર્ટ સ્ટાફની 1 જગ્યા મળી કુલ 9 જગ્યાઓ માટે સ્ટાફ પૂરો પાડશે. જેમાં સંતોષકારક કામગીરીના આધારે મુદતમાં બે વર્ષનો વધારો પણ કરવાની ભલામણ કરવામાં આવી છે. PMU સરકારી ગ્રાન્ટના પ્રોજેક્ટ્સનું આયોજન, ટેન્ડરથી લઈને લોકાર્પણ, દૈનિક મોનીટરીંગ અને વિવિધ વિભાગો વચ્ચે સંકલનનું કામ સંભાળશે. અન્ય મહત્ત્વની દરખાસ્તો સફાઈ અને કચરા ઉપાડવાના કોન્ટ્રાક્ટ: અલગ-અલગ વોર્ડમાં પાર્ટ ટાઇમ સફાઈ કામદારો મારફત સફાઈ અને કચરો ઉપાડવાના કામના કોન્ટ્રાક્ટની મુદત વધારવા તેમજ નવો દ્વિવાર્ષિક કોન્ટ્રાક્ટ આપવા માટે એક સાથે 11 દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. રામવનમાં ફૂડ કોર્ટ: રાજકોટ કોર્પોરેશનના રામવન (અર્બન ફોરેસ્ટ) ખાતે મુલાકાતીઓની સુવિધા અને કોર્પોરેશનની આવક માટે બનાવવામાં આવેલી 3 ફૂડ કોર્ટનું દ્વિવાર્ષિક સંચાલન આપવાની દરખાસ્ત મંજૂરી માટે રજૂ થઈ છે. બઢતી અને કાયમીકરણ: સબ ઓડિટરની જગ્યા પર બઢતી માટેની લાયકાત હવે 10 વર્ષના અનુભવને બદલે 5 વર્ષના ઓડિટ ક્લાર્કના અનુભવમાં હળવી કરવાની દરખાસ્ત મુકાઈ છે. ઓડિટ વિભાગમાં વર્ગ-4માં બઢતીની પ્રક્રિયા શરૂ કરવા માટેની અને હંગામી જગ્યા પર ફરજ બજાવતા 3 પટાવાળા (કિશોરસિંહ ટી. જાડેજા, હરગોવન કે. ચાવડા અને પરસોતમ સી. કિયાડા) ને કાયમી સ્ટેઅપ પર પોસ્ટિંગ આપવાની દરખાસ્તો પણ આવતીકાલની બેઠકમાં રજૂ થશે. અન્ય: અલગ અલગ પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન અને મેઇન્ટેનન્સના કામો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે 2 સક્શન મશીન ખરીદવા અને કર્મચારીઓને આર્થિક તબીબી સહાય આપવા સંબંધિત દરખાસ્તો પણ એજન્ડામાં સામેલ છે.
લુણાવાડામાં શ્રમિકની હત્યાનો ભેદ ઉકેલાયો:પત્ની સાથે સંબંધની શંકાએ બે આરોપીઓએ હત્યા કરી
લુણાવાડા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં એક હત્યાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઘટના લુણાવાડાના જેસિંગપુર ખાતે બની હતી, જ્યાં મંગળભાઈ જવરાભાઈ નાયકની હત્યા કરવામાં આવી હતી. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક મંગળભાઈ જવરાભાઈ નાયકને આરોપી મહેશ વજેસિંહ નાયક અને મહેશ મણિલાલ નાયક દ્વારા માર મારવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી મહેશ વજેસિંહ નાયકને તેની પત્ની પર મૃતક સાથે સંબંધ હોવાનો શક હતો. આ શંકાના આધારે બંને આરોપીઓએ મંગળભાઈ સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. ઝપાઝપી દરમિયાન, આરોપીઓએ લાકડાના ડફણા વડે મંગળભાઈ નાયકના માથાના ભાગે અને શરીર પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ, તેમણે હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે મકાનના પહેલા માળેથી મૃતદેહને નીચે ફેંકી દીધો હતો. આરોપીઓએ ગુનાની કબૂલાત કરી છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફિન હસન અને નાયબ પોલીસ વડા કમલેશ વસાવાની સૂચનાથી લુણાવાડા ટાઉન પીઆઈ જે.એસ. વળવીએ તપાસ માટે અલગ અલગ ટીમો બનાવી હતી. જેસિંગપુરમાં ગીરીશભાઈ અંબાલાલ પટેલના નવા મકાનના બાંધકામ સ્થળે 6 તારીખે સવારે શ્રમિક મંગળભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના અકસ્માત જેવી લાગતી હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાના આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મૃતક સાથે કામ કરતા કેટલાક શ્રમિકો ઘટના બાદ ગાયબ થઈ ગયા હતા. શંકાના આધારે પોલીસે મહેશ વજેસિંહ નાયક અને મહેશ મણિલાલ નાયકને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી. યુક્તિપૂર્વક પૂછપરછ કરતાં બંને આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી. આ શ્રમિકો છેલ્લા દોઢ મહિનાથી એક સાથે રહેતા હતા. ડીવાયએસપી કમલેશ વસાવાએ જણાવ્યું હતું કે, આરોપીઓએ શંકા-વહેમના આધારે ઝઘડો કર્યો હતો અને મંગળભાઈને લાકડી વડે માર માર્યો હતો. ત્યારબાદ, મૃતદેહને ધાબા પરથી નીચે ફેંકી દઈ અકસ્માતે મોતનો દેખાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ ચાલુ છે.
જામનગરમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગુજરાત ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા આ કાર્યક્રમની કામગીરીની સમીક્ષા જામનગર કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એન. મોદીએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. હાલમાં જામનગર જિલ્લામાં બૂથ લેવલ ઓફિસરો (BLO) દ્વારા મતદારોના ઘરે ઘરે જઈને ફોર્મ વિતરણની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીનો મુખ્ય હેતુ મતદારયાદીમાં સુધારા-વધારા કરવાનો છે. સમીક્ષા બેઠકમાં મતદાર નોંધણી અધિકારીઓ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ અને અધિક મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન EF (Enumeration Form) ફોર્મ વિતરણ અને E-Roll મેપિંગની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, શહેરી વિસ્તારના વિધાનસભા મતદાર વિભાગોમાં ફોર્મ વિતરણ અને ફોર્મ કલેક્શનના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરે સંબંધિત અધિકારીઓને ખાસ કેમ્પનું આયોજન કરવા માટે સૂચનાઓ આપી હતી.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં બાયપાસની જમીન સંપાદન મુદ્દે 15 ગામના ખેડૂતો વિરોધ નોંધાવવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, બાયપાસ માટે જમીન સંપાદનની કામગીરી દરમિયાન સરકાર દ્વારા તેમની સાથે ઘોર અન્યાય કરવામાં આવ્યો છે. તેમને યોગ્ય વળતર મળ્યું નથી અને જમીનના માપમાં પણ અન્યાય થયો છે, જેમાં 100 મીટરની જગ્યાએ 60 મીટર જમીનનો સમાવેશ થાય છે. આના કારણે ખેડૂતો વચ્ચે વાદ-વિખવાદ પણ ઊભા થયા છે. આ વિરોધ પ્રદર્શનમાં બાયપાસ અસરગ્રસ્ત 15 ગામના ખેડૂતો એકઠા થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ અને તેમના પરિવારો આગામી ચૂંટણીમાં મતદાન કરશે નહીં. આ અંગે દિનેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે બાયપાસની જમીન સંપાદન મુદ્દે આસપાસના 15 ગામના ખેડૂતો કલેક્ટર ઓફિસ ખાતે ભેગા થયા છીએ અને ચૂંટણી બહિષ્કાર માટેનું આવેદનપત્ર પણ કલેક્ટરને આપ્યું છે. અમારી માંગો સંતોષાઈ નથી, એને ધ્યાનમાં રાખી અને તમામ ખેડૂતો આવેદનપત્ર માટે આજે બધા ભેગા થયા છીએ. બાયપાસની જમીનના વળતરમાં અન્યાય થયો છે. 100 મીટરની જગ્યાએ 60 મીટર જમીનનો સમાવેશ કરાયો છે એમાં પણ ઘણાને અન્યાય થયેલો છે. તો એ ધ્યાનમાં રાખી અને આજે અમે ચૂંટણી બહિષ્કાર કરવા માટે તમામ ભેગા થયા છીએ.
રાજકોટમાં સરકારી જમીન ઉપર વધુ એક દબાણ સામે આવ્યું છે. જેમાં શહેરના કુવાડવા હાઈવે પર સરકારી ખરાબાની જગ્યા ઉપર ગૌશાળા શરૂ થઈ ગયાનું સામે આવ્યું છે. સોનાની લગડી જેવી કરોડો રૂપિયાની સરકારી જગ્યા પર શ્રી સિધ્ધાર્થ ગૌશાળા અને વિધાતા ગૌ શાળા શરૂ કરી દેવાઈ છે ત્યારે આ સમગ્ર મામલાને લઈને જિલ્લા કલેકટર દ્વારા પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. જે તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે કે કેટલી કિંમતની કેટલી જગ્યા ઉપર દબાણ કરવામાં આવ્યું છે અને કેટલા સમયથી અહીં સરકારી ખરાબા પર દબાણ છે? જોકે સરકારી જમીન પચાવી પાડવાનો મોટો કારસો ખૂલ્લો પડ્યો છે. રાજકોટ શહેર પ્રાંત - 2 અધિકારી મહેક જૈને દિવ્યભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, કુવાડવા હાઈવે ઉપર સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર દબાણ સ્વરૂપે 2 ગૌ શાળા તૈયાર થઈ ગઈ હોવાનું જાણવા મળતા જિલ્લા કલેકટરના હુકમથી તપાસ શરૂ કરવામાં આવી છે અને કુવાડવા સર્કલ ઓફિસર હાલ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં તેમના જણાવ્યા પ્રમાણે, કુવાડવા હાઈવે પર સરકારી ખરાબાની જગ્યા પર 2 ગૌ શાળાનું નિર્માણ થયું છે. જે ગેરકાયદેસર છે. જેથી કુવાડવા સર્કલ ઓફિસર આ સમગ્ર મામલાનો રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. જે રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે કે કેટલી કિંમતની સરકારી ખરાબાની જગ્યા ઉપર ગૌશાળાનું દબાણ કરવામાં આવેલું છે.
14 ડિગ્રી સાથે નલિયા-ગાંધીનગર સૌથી ઠંડા શહેર છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ઠંડીએ જોર પકડ્યું છે. તમામ શહેરોમાં તાપમાનનો પારો ગગડીને 20 ડિગ્રી નીચે જતો રહ્યો છે. 14 ડિગ્રી તાપમાન સાથે નલિયા અને ગાંધીનગર શહેર સૌથી ઠંડા રહ્યા. હજી પણ ઠંડી વધી શકે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પડતર માગોને લઇને ભારતીય મજદૂર સંઘ મેદાને પોતાની પડતર માગોને લઇને ભારતીય મજદૂર સંઘે ફરી હુંકાર ભર્યો. આજે રિવરફ્રન્ટ પર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલાં 161 યુનિયનો અને મહાસંઘના કાર્યકરો હાજર રહ્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો BMWની અડફેટે વિદ્યાર્થી અભિષેક નાથાણીનું મોત રાજકોટમાં ક્રિસ્ટલ મોલ નજીક BMW કારના ચાલકે ટૂ-વ્હીલર ચાલકને અડફેટે લેતાં ઘટનાસ્થળે તેનું મોત નીપજ્યું. BMWની ટક્કર એટલી જોરદાર હતી કે, મારવાડી યુનિવર્સિટીનો વિદ્યાર્થી અભિષેક નાથાણી 10 ફૂટ ઊછળી 50 ફૂટ સુધી ફંગોળાયો હતો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ઇનોવા કારે રિક્ષાને ટક્કર મારતા મહિલાનું મોત ગાંધીનગરમાં મોટા ચિલોડા-દહેગામ રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો. બેફામ ઇનોવા કારે મજૂરોને લઈ જતી રિક્ષાને ટક્કર મારતા મહિલાનું મોત નીપજ્યું જ્યારે સાત લોકો ઘાયલ થયા. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કંડલા-ગાંધીધામ હાઈવે પર 5 કિમી સુધી ટ્રાફિકજામ કચ્છના કંડલા-ગાંધીધામ હાઈવે પર 5 કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગ્યા. ડામર રોડના કામને કારણે એકતરફનો માર્ગ જ ચાલુ છે, જેના કારણે સવારના 10 વાગ્યાથી વાહનોની લાંબી કતારો લાગી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુરતઃ ડૉક્ટર ભાવેશે ઇન્જેક્શન મારી આપઘાત કર્યો સુરતની કિરણ હોસ્પિટલના ડૉક્ટર ભાવેશ કવાડે એક હોટલમાં ડાબા હાથે ઇન્જેક્શન મારી આપઘાત કર્યો. સુસાઈડ નોટમાં ડૉક્ટરે પત્ની 'ધારા'નું ચિત્ર બનાવી I Love Dhara જ્યારે અન્ય એક પેજ પર માત્ર 'ન્યાય' શબ્દ લખ્યો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો SOGમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત ગાંધીનગર SOGમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ચાવડાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો. આપઘાતનું કારણ હજુ સામે નથી આવ્યું. કોન્સ્ટેબલના આપઘાતથી 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કડીઃ દીવાલ ધરાશાયી થતાં 7 મજૂર દટાયા, એકનું મોત કડી શહેરના ભાવપુરા વિસ્તારમાં જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી થતાં 7 મજૂર દટાયા. જેમાંથી એકનું કરૂણ મોત થયું છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો દિવાળી બાદ પણ હીરા ઉદ્યોગ પર મંદીનું ગ્રહણ હીરા ઉદ્યોગ પર મંદીનું ગ્રહણ યથાવત છે. દિવાળી બાદ 10થી 20% ઓફિસ ને 35% કારખાનાં જ શરૂ થયાં છે. એક વેપારીએ કહ્યું કે, ઓફિસમાં 30થી 35 લોકોનો સ્ટાફ હતો, અમે બધાને છૂટા કર્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રાજકોટઃ બીડી, સિગારેટ પીવા ઉપર 500 રૂપિયાનો દંડ રાજકોટ જિલ્લા પંચાયત કચેરીમાં જો હવે પાન, તમાકુ, ગુટખા ખાઈને પ્રવેશ કરશો તો દંડ ભરવો પડશે. પાન મસાલા ખાઈને પીચકારી મારી તો 500 રૂપિયા દંડ ભરવો પડશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની રાજ્યવ્યાપી ઉજવણી 15 નવેમ્બરે થનાર છે. આ ઉજવણીમાં સુરેન્દ્રનગર જિલ્લો પણ જોડાશે. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ લીંબડી તાલુકાના નાની કઠેચી ગામમાં યોજાશે, જેમાં સેવા સેતુ અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના આયોજન સંદર્ભે જિલ્લા ક્લેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાર્યક્રમમાં મહત્તમ લોકોની સહભાગિતા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો અને તે માટે જરૂરી આયોજન હાથ ધરવા સૂચના અપાઈ હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાની કઠેચી ખાતે યોજાનાર સેવા સેતુ અને મેડિકલ કેમ્પનો લાભ લેવા માટે લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. આ કેમ્પ દ્વારા સ્થાનિક લોકોને વિવિધ સરકારી સેવાઓ અને આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આયોજન બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર ઓઝા, તમામ પ્રાંત અધિકારીઓ તેમજ અગ્રણીઓ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને હાર્દિકભાઈ ટમાલીયા સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભુજમાં જુગારધામ પર LCBનો દરોડો:7 જુગારીઓને રોકડ રકમ 59,760 સાથે ઝડપી પાડ્યા
પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારધામ ઝડપી પાડ્યું છે. સુરલભીટ રોડ પરના અંજલીનગર વિસ્તારમાં દરોડો પાડી સાત જુગારીઓને ₹59,760 રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસની ટીમ ભુજ શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી. પેટ્રોલિંગ દરમિયાન રાજેન્દ્રસિંહ રાઠોડ અને ભરતભાઇ ગઢવીને સંયુક્ત બાતમી મળી હતી કે, સુરલભીટ રોડ પર જૂના સરકારી અનાજના ગોડાઉનની બાજુમાં અંજલીનગર સ્ટ્રીટ લાઇટના અજવાળે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે, પોલીસ સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, સાત ઇસમોને ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં કાસમ ઉર્ફે કાસુ ઉર્ફે કીસ્ટો હાજી મોખા (ઉ.વ. ૫૦, રહે. ભુતેશ્વર વિસ્તાર, દાદુપીર રોડ, ભુજ), બસીર હારૂનભાઇ મમણ (ઉ.વ. ૫૬, રહે. સીફાનગર, સુરલભીટ રોડ, ભુજ), ઉંમર અલાના ભટ્ટી (ઉ.વ. ૪૨, રહે. અંજલીનગર, સુરલભીટ રોડ, ભુજ), આરીફ દાઉદ કુંભાર (ઉ.વ. ૪૨, રહે. લખુરાઇ ચાર રસ્તા, ભક્તિનગર, ભુજ), જુણસ સુલેમાન કુંભાર (ઉ.વ. ૩૪, રહે. સુરલભીટ રોડ, હનુમાનજી મંદિર સામે, ભુજ), ઇબ્રાહીમ ઇસ્માઇલ સોઢા (ઉ.વ. ૩૧, રહે. માંજોઠી મદ્રેસાની બાજુમાં, કેમ્પ એરિયા, ભુજ) અને લતીફ ઇબ્રાહીમ મોખા (ઉ.વ. ૬૦, રહે. દાદુપીર રોડ, ભીઢયારી ફળીયુ, ભુજ) નો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી રોકડા ₹59,760 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૩૮૬/૨૦૨૫ મુજબ જુગાર ધારા કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરત શહેરના એક જાણીતા ઉદ્યોગપતિ સમીર મહેન્દ્ર શાહ, તેમના પત્ની હેતલ સમીર શાહ અને પુત્ર જૈનમ સમીર શાહ વિરુદ્ધ દારૂના નશાનો બ્લડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે લીધેલા બ્લર સેમ્પલનો રિપોર્ટ પોઝિટવ આવતા કાર્યવાહીગત તારીખ 17/10/2025 ના રોજ અલથાણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી કે, કે.એસ. અંતરવન રેસ્ટોરન્ટની બહારની બાજુએ રજી. નં. GJ-05-RA-4369 વાળી બલેનો કારમાં પ્રોહિબિશનને લગતી દારૂની પ્રવૃત્તિ ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતાં હકીકત સાચી જણાઈ હતી. આ મામલે પ્રાથમિક રીતે તહોમતદાર વ્રજ જયેશભાઈ શાહ વિરુદ્ધ પ્રોહી. એક્ટની કલમ 65(એ)(એ), 98 મુજબ ફરિયાદ નોંધાઈ હતી. વધુ તપાસ દરમિયાન પંચનામામાં મળી આવેલો બિયરનો જથ્થો ઉદ્યોગપતિ સમીર મહેન્દ્ર શાહે આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. આથી, પોલીસે ગુનામાં પ્રોહી. એક્ટ કલમ 81 મુજબનો ઉમેરો કરીને સમીર શાહની અટકાયત કરી હતી. જૈનમ શાહે પોલીસની ફરજમાં રૂકાવટ કરતા અલથાણ પોલીસ સ્ટેશનમાં અલગથી ગુનો નોંધાયો હતોઆ ઉપરાંત, સમીર શાહના પુત્ર જૈનમ સમીર શાહે પોલીસની ફરજમાં રૂકાવટ કરી હોવાથી તેમની વિરુદ્ધ પણ અલથાણ પોલીસ સ્ટેશનમાં અલગ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આલ્કોહોલ રિપોર્ટ પોઝિટિવ આવતા ફરી ગુનો દાખલ કરવામાં આવ્યો અને જૈનમ શાહને ગાંધીનગરથી અટકાયતી પગલાં બાદ જામીન મળી ગયા છે. હાલ તે ત્યાં ભણી રહ્યો છે. બ્લડ રિપોર્ટમાં આવ્યું 'આલ્કોહોલ પોઝિટિવ'પોલીસે પ્રોહિબિશનના નિયમો મુજબ સમીર શાહ, તેમના પત્ની હેતલ શાહ અને પુત્ર જૈનમ શાહે નશો કર્યો છે કે કેમ તે જાણવા માટે તે જ દિવસે નવી સિવિલ હોસ્પિટલમાં તેમના બ્લડ સેમ્પલ લેવડાવ્યા હતા. આ બ્લડ સેમ્પલને પૃથ્થકરણ માટે ગાંધીનગર સ્થિત FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ખાતે મોકલવામાં આવ્યા હતા. હાલમાં FSLનો રિપોર્ટ આવતા તેમાં આલ્કોહોલ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ અલથાણ પોલીસે નિયમ મુજબ ત્રણેય ઈસમો વિરુદ્ધ અલથાણ પોલીસ સ્ટેશનના પાર્ટ સી ગુના રજીસ્ટરમાં પ્રોહિબિશન કલમ 66(1)બી મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. પરમિટ હોવા છતાં તપાસ ચાલુજોકે, સૂત્રોના જણાવ્યા મુજબ, ઉદ્યોગપતિ સમીર શાહ અને તેમના પત્ની હેતલ શાહ બંને પાસે દારૂની કાયદેસરની પરમિટ છે. તેમ છતાં, જાહેરમાં નશાની હાલતમાં મળી આવવું અને દારૂની ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાના આક્ષેપોને પગલે કાયદાકીય પાસાઓની સઘન તપાસ ચાલી રહી છે.
શામળાજી પોલીસે 10 લાખનો દારૂ ઝડપ્યો:અણસોલ ચેકપોસ્ટ પર સફેદ પાવડરની આડમાં લઈ જવાતો હતો
શામળાજી પોલીસે ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલી અણસોલ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ટ્રકમાંથી સફેદ પાવડરની થેલીઓની આડમાં છુપાવેલો રૂ. 10 લાખથી વધુનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી ટ્રક સહિત કુલ રૂ. 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શામળાજી પોલીસ ગુજરાત-રાજસ્થાન સરહદ પર વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક ટ્રકમાં દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ ટ્રકને રોકાવી તપાસ હાથ ધરી હતી. ટ્રકના ટ્રેલરમાં ઉપરના ભાગે સફેદ પાવડરની થેલીઓ ભરેલી હતી, જ્યારે તેની નીચેના ભાગે વિવિધ બ્રાન્ડની દારૂની પેટીઓ છુપાવેલી હતી. પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનથી ભરીને ગુજરાતના મોરબી પહોંચાડવાનો હતો. પોલીસે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના રીંગરોડ પર આવેલા સુરત ટેક્સટાઇલ માર્કેટમાં 9 નવેમ્બર, 2025ના રોજ સવારે સાડા નવ વાગ્યાના અરસામાં એક સફાઈકર્મીની હત્યાન બનાવ બનવા પામ્યો છે. આ હત્યાનું કારણ કોઈ મોટી અદાવત નહીં પરંતુ, સગાઈ તૂટવાનો વહેમ અને પ્રેમસંબંધની શંકા હતી. સલાબતપુરા પોલીસે હત્યાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી નાખી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. મૃતક ચડ્ડા અને તે યુવતી વચ્ચે સંબંધ છેમૃતક યુવકનું નામ સરદાર ઉર્ફે ચડ્ડા દેવીદાર ચૌહાણ (ઉં.વ. 21, રહે. સુમન કેશર આવાસ, ડીંડોલી) હતું, જે ટેક્સટાઇલ માર્કેટમાં સફાઈકર્મી તરીકે કામ કરતો હતો. આ હત્યા પાછળનો મુખ્ય આરોપી મુકેશ મધુકર સકટ (ઉં.વ. 19, રહે. મહાદેવનગર-1, ડીંડોલી) છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે, આ ઘટનાનું મૂળ એક યુવતી છે. આરોપી મુકેશના ભાઈની સગાઈ જે યુવતી સાથે થઈ હતી, તેની સાથે મૃતક સરદાર ઉર્ફે ચડ્ડા વાતચીત કરતો હતો. આ બાબત આરોપી મુકેશને ખટકતી હતી. તેને શંકા હતી કે, મૃતક ચડ્ડા અને તે યુવતી વચ્ચે સંબંધ છે, જેના કારણે તેના ભાઈની સગાઈ તૂટી જશે. સરદાર ઉર્ફે ચડ્ડાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુંઆ જ શંકાના વહેમમાં મુકેશે શનિવારે સવારે ટેક્સટાઇલ માર્કેટના પાર્કિંગ પ્રોજેક્ટની બાજુમાં બ્લોક નંબર O અને Sની વચ્ચે, ગેટ નંબર-5 પાસે જાહેરમાં સરદાર ઉર્ફે ચડ્ડા પર ચપ્પુના જીવલેણ ઘા વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થવાના કારણે સરદાર ઉર્ફે ચડ્ડાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. સલાબતપુરા પોલીસે હત્યારાને ઝડપી પાડ્યોહત્યાની ઘટના બનતાં જ રીંગરોડ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધીને તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. હત્યારો મુકેશ મધુકર સકટ હત્યા બાદ ફરાર થઈ ગયો હતો પરંતુ, સલાબતપુરા પોલીસ ટીમે સઘન તપાસના આધારે ગણતરીના કલાકોમાં જ 19 વર્ષના આરોપી મુકેશ સકટને ઝડપી પાડ્યો હતો. પોલીસે મુકેશ સકટની ધરપકડ કરીને આ ગુનામાં કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે. સફાઈકર્મી જેવા સામાન્ય શ્રમજીવી યુવકની સગાઈ તૂટવાના વહેમમાં હત્યા થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ છે.
હળવદ માર્કેટ યાર્ડમાં સોમવારે સવારે કપાસની હરાજી શરૂ થતા પહેલાં કપાસના ઢગલામાં આગ લાગી હતી. આ ઘટનામાં અંદાજે 350થી 400 મણ કપાસ બળીને ખાખ થઈ ગયો હતો, જોકે મોટી દુર્ઘટના ટળી હતી. માર્કેટ યાર્ડના મહારાણા પ્રતાપ સેડમાં કોઈ અગમ્ય કારણોસર કપાસના ઢગલામાં આગ લાગી હતી. જોતજોતામાં આગ 7થી 8 જેટલા કપાસના ઢગલામાં પ્રસરી ગઈ હતી, જેના કારણે કપાસને ભારે નુકસાન થયું હતું. આગને કાબૂમાં લેવા માટે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે, આગ સંપૂર્ણપણે કાબૂમાં આવે ત્યાં સુધીમાં અંદાજે 350 થી 400 મણ કપાસ બળીને રાખ થઈ ગયો હતો. આ ઘટનાથી ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. હળવદ માર્કેટ યાર્ડના સેક્રેટરી મહેશ પટેલે જણાવ્યું હતું કે, જે કપાસ આગમાં બળી ગયો હતો તેનું વજન થયું ન હતું. યાર્ડ દ્વારા ખેડૂતોને નુકસાન ન થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
13 ઓક્ટોબરના રોજ અમદાવાદના પાલડી પોલીસ મથકે એક જૈન દેરાસરના પૂજારી મેહુલ રાઠોડ તથા બે સફાઈ કર્મચારી સામે ચોરીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે મુજબ આરોપીઓએ જૈન દેરાસરમાંથી 117 કિલો જેટલી 1.64 કરોડ રૂપિયાની ચાંદીની ચોરી કરી હતી. આ ફરિયાદ લક્ષ્મી વર્ધક જૈન સંઘના સેક્રેટરી દ્વારા દાખલ કરવામાં આવી હતી. પૂજારી લાઈટની સ્વીચ બંધ કરી ચોરી કરતા CCTVમાં કેદ થયોફરિયાદમાં જણાવ્યા મુજબ ભગવાનને ચઢાવવાના દાગીના દેરાસરના ભોંયરાના લોકર રૂમમાં મૂકવામાં આવ્યા હતા, જે ગાયબ થયા હતા. આથી જિનાલયના CCTV તપાસતા મંદિરનો પૂજારી વીજળીની મુખ્ય સ્વીચ બંધ કરીને ચોરી કરતો હોવાનું માલૂમ પડ્યું હતું. જેમાં દેરાસરની સાફ સફાઈ કરતા બે અન્ય આરોપી પણ સામેલ હતા. ચોરીની જાણ થતા પૂજારી અને સાફ-સફાઈ કરતા કર્મચારીઓ ગાયબ થઈ ચૂક્યા હતા. ગુના સાથે સંકળાયેલા 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતાવધુ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, સાફ-સફાઈના કર્મચારીઓનો માસિક પગાર 10 હજાર રૂપિયા પગાર હોવા છતાં તેઓએ વિસનગરમાં એક ટેનામેન્ટ અને પિકઅપ વાન ખરીદી હતી. આ કેસમાં પોલીસે તપાસ કરીને ગુન્હા સાથે સંકળાયેલા કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જે પૈકી મુખ્ય આરોપી દેરાસરના પૂજારી મેહુલ રાઠોડે અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને નકારી દેવાઈ છે. જેમાં અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે તેની પાસેથી કોઈ મુદ્દામાલ મળેલ નથી.સહ આરોપીને કોર્ટે જામીન આપ્યા છે. તો ફરિયાદી અને સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે આરોપીના જામીન અરજી વિરુદ્ધ દલીલ કરી હતી કે મોટા ભાગના મુદ્દામાલની રિકવરી હજુ થઈ નથી. મુદ્દામાલ પૈકી 72 લાખની 48 કિલો જેટલી ચાંદી મળી છે. આરોપીઓ આભૂષણોના ટુકડા કરીને ચોરતા હતા. જેમાં અરજદાર દેરાસરમાં સાફસફાઈ કરતા કર્મચારીના ઘરે ચોરીનો સામાન મુકાવીને રાત્રે લઈ લેતો હતો. કોર્ટે નોંધ્યું હતું કે અગાઉ જામીન અપાયેલા આરોપી કરતા અરજદારનો રોલ મોટો છે. મોટા ભાગના મુદ્દામાલની રિકવરી બાકી છે. આ કેસમાં તપાસ ચાલુ છે. ત્યારે કોર્ટે આરોપીની જામીન અરજી નકારી નાખી હતી.
બોટાદના હડદડ ગામે ગત તા. ૧૨ ઓક્ટોબરના રોજ યોજાયેલી ખેડૂત મહાપંચાયત બાદ પોલીસ અને ખેડૂતો વચ્ચે થયેલા ઘર્ષણ મામલે નવો વળાંક આવ્યો છે. આ ઘટનામાં કોળી સમાજના મુખ્ય આગેવાનો દ્વારા કલેક્ટર અને એસપીને શ્રીમદ્ ભાગવત ગીતા સાથે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. આગેવાનોએ પોલીસ પર લાઠીચાર્જ, ટીયર ગેસના સેલ છોડવા અને ખાસ કરીને ગામના નિર્દોષ લોકોના ઘરોમાં ઘૂસીને માર મારવાના તથા અત્યાચાર ગુજારવાના આક્ષેપો કર્યા છે. આ ઉપરાંત, પોલીસ દ્વારા બાળકો અને મહિલાઓને પણ માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે પોલીસે નિર્દોષ લોકોના ઘરોમાં દરવાજા અને બારી-બારણા તોડી નાખ્યા છે. કોળી સમાજના આગેવાનોએ આ મામલે જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવેદનપત્રની વિશેષતા એ હતી કે કોળી સમાજના આગેવાનોએ તેને સત્ય અને ધર્મના પ્રતીક સમા 'શ્રીમદ્ ભાગવત ગીતા' સાથે સુપરત કર્યું હતું. બોટાદ જિલ્લા માંધાતા ગ્રુપના પ્રમુખ મયુરભાઈ જમોડ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળા, જિલ્લા પંચાયત સદસ્ય દયાબેન અણીયાળીયા, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ મેર સહિત કોળી સમાજના આગેવાનોએ આ આવેદનપત્ર આપ્યું હતું. તેમણે તંત્રને ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં તેમની માંગણીઓ સંદર્ભે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે, તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવા મજબૂર થશે.
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં કડકડતી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગત રાત્રિએ પારો એકાએક નીચે સરકીને 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો, જેના કારણે સમગ્ર સાપુતારામાં તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. અચાનક વધેલી ઠંડીના કારણે પ્રવાસીઓ ઉપરાંત સ્થાનિક લોકો પણ ઠુંઠવાઈ ગયા હતા. રાત્રિના સમયે ઠંડીનો પ્રકોપ વધતાં લોકો ઘરોમાં તાપણીનો સહારો લેતા જોવા મળ્યા હતા. હોટલોમાં રોકાયેલા અનેક પ્રવાસીઓએ વહેલી સવારે બહાર નીકળવાનું ટાળ્યું હતું. ઠંડા પવન સાથે ધુમ્મસ છવાઈ જતાં દૃશ્યતા ખૂબ જ ધૂંધળી બની ગઈ હતી. સાપુતારા જેવી ઊંચાઈએ આવેલી પર્યટન નગરીમાં સામાન્ય રીતે શિયાળાની શરૂઆત સાથે ઠંડીનો માહોલ અનુભવાય છે. જોકે, આ વર્ષે નવેમ્બરની શરૂઆતમાં જ પારો 10 ડિગ્રી સુધી પહોંચી જવાથી પર્યટકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ઘણા પ્રવાસીઓએ ઠંડીના આ આનંદને કેમેરામાં કેદ કર્યો હતો, જ્યારે કેટલાકે સવારના નજારાનો આનંદ ચા અને કોફી સાથે માણ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડાની શક્યતા છે. ઉત્તર ભારત તરફથી આવતી ઠંડી હવાની લહેરો સાપુતારા સહિત ડાંગ જિલ્લાના અન્ય પર્વતીય વિસ્તારોમાં પણ અસરકારક બની શકે છે. સ્થાનિક વેપારીઓ માટે પણ આ ઠંડીનું વાતાવરણ લાભદાયી સાબિત થઈ રહ્યું છે. સ્વેટર, હૂડીઝ અને ગરમ કપડાંની માંગમાં વધારો નોંધાયો છે, જ્યારે હોટલ અને લોજમાં બુકિંગનો દર પણ ધીમે ધીમે વધતો જોવા મળી રહ્યો છે. સાપુતારાની આ શિયાળાની ઠંડી પ્રવાસીઓને હિમાચલ કે કાશ્મીર જેવી અનુભૂતિ કરાવી રહી છે. પર્યટન સિઝનની શરૂઆત સાથે સાપુતારા ફરી એકવાર પ્રવાસીઓ માટે મનપસંદ સ્થળ બની રહ્યું છે.
અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (ગ્રામ્ય)એ નરોડા સ્થિત દિવ્યજીવન ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લિ.ને મોટો ઝટકો આપ્યો છે. કમિશનના પ્રમુખ એ.બી. પંચાલ અને સભ્ય ડી.એમ. સોનીએ ફરિયાદી ચિમનભાઇ મોહનભાઇ વાળાની અરજી મંજૂર કરી, ફ્લેટના અવેજમાં ચૂકવેલ ₹3,45,600 (તા. 24.12.2014થી) વાર્ષિક 12% વ્યાજ સાથે તેમજ ₹15,000 ખર્ચ અલગથી ચૂકવવાનો હુકમ કર્યો છે. નવો ગ્રાહક આવશે તો ફલેટનું બુકીંગ કેન્સલ કરી રકમ પરત આપીશુંઅમદાવાદ શહેરના સ્વામિનારાયણ પાર્ક પાસે, હરિદર્શન ક્રોસ રોડ, નરોડા સ્થિત દિવ્યજીવન ઇન્ફાસ્ટ્રકચર પ્રા. લી. દ્વારા 50 ચો.વારના એફોર્ડેબલ ફલેટસ રૂ.7,55,000/- માં વેચાણ કરવાની સ્કીમ તૈયાર કરવામાં આવી હતી. ફરિયાદી ગ્રાહકે ફલેટ નં.જે-304 બુક કરાવ્યો અને એડવાન્સ EMI દ્વારા નિયમિત અવેજ ચુકવતા હતા પરંતુ, બિલ્ડર દ્વારા બાંધકામનો પ્રોગ્રેસ નહી થતા નાછુટકે EMI ચુકવવાનું બંધ કરવાની ફરજ પડી હતી અને ફરિયાદીએ બુકિંગ કેન્સલ કરાવી જમા રકમ પરત માગી પરંતુ, બિલ્ડર દ્વારા નવો ગ્રાહક આવશે તો ફલેટનું બુકીંગ કેન્સલ કરી રકમ પરત આપીશુ એવો જવાબ આપ્યો. અસહ્ય વિલંબ બાદ રકમ પરત કરી નહી. જેથી, ચિમનભાઇ વાળાએ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ સમક્ષ ફરિયાદ કરી હતી. આ ફરિયાદના પગલે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ગ્રાહક કમિશનમાં ફરિયાદ દાખલ કરી જમા રકમ વ્યાજ અને ખર્ચા સાથે પરત મેળવવા દાદ માંગી લેખિત અને મૌખિક રજુઆત કરી. ગ્રાહક સુરક્ષા સમિતિએ બિલ્ડરને 12 ટકાના વ્યાજ સાથે વળતર ચૂકવવા હુકમ કર્યોગ્રાહક કમિશને અવલોકન કર્યું કે, અમદાવાદ જેવા મોટા શહેરોમાં રહેણાંક ફલેટોની કિંમતો ઉત્તરોત્તર ખુબ જ વધી રહી છે. તે સંજોગોમાં ફરિયાદીએ સામાવાળાને ચૂકવણી કરેલી રકમ પ્રવર્તમાન ભાવ તેમજ વલણ પ્રમાણે ફલેટ ખરીદવા માટે ખૂબ જ અપૂરતી નિવડે તે રીતે બિલ્ડરે ફરિયાદી દ્વારા ચૂકવણી કરેલી રકમ પરત નહી કરીને ગ્રાહકને ખુબ મોટુ આર્થિક નુકશાન કરેલ હોવાનું ફલિત થાય છે. જે ચોક્કસ રકમમાં નિર્ણિત કરી શકાય તેમ ન હોય ફરિયાદીને વ્યાજરૂપે વળતર આપવું યોગ્ય અને વ્યાજબી જણાય છે. આથી છેલ્લે ચુકવેલી રકમ તા.24.12.2014 થી ખરેખર ચુકવી આપવામાં આવે ત્યાં સુધીના સમયગાળા માટે વાર્ષિક 12 ટકાના વ્યાજ સાથે ચુકવી આપવી. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ જણાવે છે કે, બિલ્ડરો અનફેર ટ્રેડ પ્રેકટીસ આચરે છે. ગ્રાહક કમિશનનો ચુકાદો આવકારદાયક અને પ્રશંસનીય છે, બદમાશ અને લેભાગુ બિલ્ડરને લપડાક મારવામાં આવી છે. ગ્રાહકોની બચતની કિંમતી મુડી પચાવી પાડી ઘરના ઘરનું સ્વપ્ન છિન્નભિન્ન કરનાર બિલ્ડરને ફટકાર છે. વધુ ને વધુ ગ્રાહકો નિર્ભયતાપૂર્વક ન્યાય મેળવવા આગળ આવે તે જરૂરી છે.
ગુજરાત હાઈકોર્ટમાં આજે ધ્વનિ પ્રદૂષણ સંદર્ભની કન્ટેમ્પ્ટ અરજી ઉપર સુનાવણી યોજાઈ હતી. સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના નિર્દેશોના ઉલ્લંઘન બદલ આ અરજી કરવામાં આવી છે. આજે ડબલ જજની કેન્ટેમ્પ્ટ બેંચ સમક્ષ સુનાવણી યોજાઈ હતી. જેમાં અરજદારે જણાવ્યું હતું કે, ધ્વનિ પ્રદૂષણને રોકવા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે જે નિર્દેશો આપ્યા છે તેનું પાલન ઓથોરિટી કરાવી શકી નથી. આ માટે સર્ક્યુલર અને SOP બનાવી છે પણ તે ફક્ત કાગળ ઉપર છે. 'અધિકારી એફિડેવિટ કરે કે શું કોંક્રિટ પગલાં લેવામાં આવ્યા'આ મામલે હાઈકોર્ટે પૂછ્યું હતું કે, ઓથોરિટીએ સુપ્રીમ અને હાઈકોર્ટના નિર્દેશોના પાલન માટે શું કર્યું? ઓથોરિટીએ જે પગલાં ભર્યા હોય તે કોંક્રિટ ફોર્મમાં આપો. GPCBનું કામ SOP આપવાનું છે. અમલવારીનું કાર્ય ગૃહ વિભાગનું છે. હાઈકોર્ટે ફક્ત સુપ્રીમ અને તેના નિર્દેશોના પાલનમાં રસ છે. રાજ્ય સરકાર તરફથી યોગ્ય અધિકારી એફિડેવિટ કરે કે શું કોંક્રિટ પગલાં લેવામાં આવ્યા છે. આ અંગે વધુ સુનાવણી 20 નવેમ્બર યોજાશે. રાત્રે 10થી સવારે 6 સુધીમાં સ્પીકર વગાડી શકાય નહીંઅગાઉની સુનાવણીમાં GPCBએ કોર્ટ સમક્ષ પોતાની એફિડેવિટ રજૂ કરી હતી. જે સમયે કોર્ટમાં થયેલી ચર્ચા મુજબ અવાજ 75 DBથી વધે નહીં અને જે એરિયામાં જેટલો અવાજ હોય તેનાથી 10 DB વધે નહીં તેવા નિયમો છે. SOP મુજબ રાત્રે 10થી સવારે 6 સુધીમાં સ્પીકર વગાડી શકાય નહીં. સાઉન્ડ સિસ્ટમમાં સાઉન્ડ લિમિટર લગાવવું ફરજિયાત છે. પોલીસ ઓથોરિટીએ તે જોવાનું રહેશે કે નક્કી કરેલી સીમા કરતા વધુ અવાજ થયા નહીં. આવું કરનારા સામે પોલીસે પગલાં લેવાના રહેશે. જેમાં ઓડિયો સિસ્ટમ જપ્ત થઈ શકે છે. 7 દિવસ પહેલાં પહેલાં પોલીસ પરમિશન લેવી જરૂરીરાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકરના ઉપોયગ, બાંધકામ અને ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ છે. જાહેર સ્થળોએ નિયતમાત્ર કરતા જો વધુ 10 ડેસીબલથી અવાજ વધતો હોય તો તેની સામે પોલીસ IPC ની કલમ 188 મુજબ પગલાં ભરાશે. જેમાં જેલ તેમજ દંડની જોગવાઈ છે. હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો વગેરેની આસપાસ 100 મીટરનો ઘેરાવામાં સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરી શકાય નહીં. લાઉડ સ્પીકર અને ડીજેના વપરાશના 7 દિવસ પહેલાં પહેલાં પોલીસ પરમિશન લેવી જરૂરી છે. નોટિફિકેશનના પાલનની બાહેંધરી આયોજકે આપવાની રહેશેDJનો અવાજ 129 ડેસિબલ જેટલો હોય છે. DJ ટ્રક એક મોટું દૂષણ છે. જે લોકોના જીવ લઈ શકે છે. કોર્ટમાં થયેલી રજૂઆત મુજબ DySPથી નીચે નહીં એવા સરકારે ઓથોટાઈઝ કરેલા અધિકારીઓ પબ્લિક એડ્રેસ સિસ્ટમની મંજૂરી આપશે. સરઘસ, કાર્યક્રમ, સભાની પરવાનગી આયોજકે લેવાની રહેશે. સિસ્ટમ વગાડવા પરવાનગી પણ લેવાની રહેશે. પરવાનગી આપતી વખતે GPCBના નોટિફિકેશનના પાલનની બાહેંધરી આયોજકે આપવાની રહેશે. નિયમોના પાલન અંગે એફિડેવિટ ફાઇલ કરેસાયલન્સ ઝોન પોલીસ કમિશનર કે જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવે છે. તેના 100 મીટરની ત્રિજ્યમાં સ્પીકર્સ વગાડી શકાય નહીં. કોર્ટ સમક્ષ નિયમો તોડનારા સામે પેનલ્ટી, મોનિટરિંગ, ડેસિબલની ગણતરી કેવી રીતે કરાશે વગેરે પ્રશ્નો રજૂ કરાયા હતા. કોર્ટે કહ્યું હતું કે, નિયમોનો ભંગ થાય છે. જો સરકાર પાસે સરક્યુલર, SOP, પોલિસી બધું છે તો તે નિયમોના પાલન અંગે એફિડેવિટ ફાઇલ કરે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ આજે ખેડા જિલ્લાની મુલાકાતે આવ્યાં છે. નવનિર્વાચિત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ફાગવેલ પહોંચ્યા હતા. જ્યાં ક્ષત્રિય વીર ભથીજી મહારાજના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું હતું. ફાગવેલ મંદિર દ્વારા જગદીશ વિશ્વકર્માનું સન્માન કરાયું હતું. તેમજ તલવાર અને પુષ્પ ભેટ સાથે સાકર તુલા કરાઈ હતી. ફાગવેલથી પ્રદેશ પ્રમુખ નડિયાદ પહોંચ્યા હતા. નડિયાદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના આગમનને પગલે શહેરના માર્ગો પર મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા. કાર્યકરોએ બાઈક અને ગાડીઓના કાફલા સાથે પ્રદેશ પ્રમુખને આવકાર્યા હતા. સ્વાગત બાદ પ્રદેશ પ્રમુખે પોતાની યાત્રા આગળ વધારી હતી. તેઓ સૌ પ્રથમ નડિયાદના સંતરામ મંદિર જવા રવાના થયા હતા, જ્યાં તેમણે પૂજન-અર્ચન કરીને સંતોના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ, તેમણે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દ્વારા તેમણે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મંદિર અને સરદાર પટેલના જન્મસ્થળની મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રદેશ પ્રમુખ યોગી ફાર્મ પહોંચ્યા હતા. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નડિયાદ આગમનને પગલે સમગ્ર વિસ્તારમાં ભવ્ય સ્વાગતની તૈયારીઓ વચ્ચે જનમેદની ઉમટી પડી છે. નડિયાદ શહેર અને આજુબાજુના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉત્સાહભેર એકત્રિત થઈ રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કરવા માટે યોગી ફાર્મ ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં કાર્યકરોમાં પોતાના નેતાને આવકારવાનો અને તેમને ટેકો દર્શાવવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ભવ્ય સ્વાગત કાર્યક્રમ રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે, કારણ કે તે સ્થાનિક સ્તરે પક્ષની મજબૂત હાજરી અને આગામી રાજકીય ગતિવિધિઓ માટે કાર્યકરોમાં નવો જોશ ભરવાનો સંકેત આપે છે. પ્રદેશ પ્રમુખની આ મુલાકાત દરમિયાન અનેક મહત્વપૂર્ણ રાજકીય ચર્ચાઓ અને માર્ગદર્શન સત્રો યોજાવાની સંભાવના છે, જેના લીધે કાર્યકરોમાં ભારે આશા અને ઉત્સાહનું વાતાવરણ છે.
છોટા ઉદેપુર જિલ્લા LCBએ વનાર જામલા ચાર રસ્તા પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ઈકો ગાડીમાંથી ₹2,82,864/- ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. આ મામલે બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, એક ઈકો ગાડીમાં વિદેશી દારૂ ભરીને સુરખેડાથી છોટા ઉદેપુર તરફ આવી રહી છે. આ બાતમીના આધારે, LCBએ વનાર જામલા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, બાતમી મુજબની GJ 02 CP 7216 નંબરની ઈકો ગાડી આવતા તેને રોકવામાં આવી હતી. ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની કુલ 264 બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹2,82,864/- આંકવામાં આવી છે. LCBએ વિદેશી દારૂ, ઈકો ગાડી, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ ₹7,93,284/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગાડીના ચાલક મહેશભાઈ બુધાભાઈ ચૌહાણ (રહે. ખનીજ કમ્પાઉન્ડ, છોટા ઉદેપુર, મૂળ રહે. આંબલી ફળિયા, ડભાસી, તા. બોરસદ, જિ. આણંદ) અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરતનો કુખ્યાત માથાભારે આરોપી સલમાન લસ્સી, જે ક્રાઈમ જગતમાં સલમાન લસ્સીના નામથી ઓળખાતો હતો, તેનું નામ હવે કાયમ માટે બદલાઈ જાય એવી શક્યતા છે. નવસારીના ડાભેલ ખાતે પોલીસ ફાયરિંગમાં પગમાં ગોળી વાગ્યા બાદ નવી સિવિલ હોસ્પિટલમાંથી તેને ડિસ્ચાર્જ કરવામાં આવતાં જ તેની સાન ઠેકાણે આવી ગઈ હોય એવો ઘાટ સર્જાયો છે. ત્રણ દિવસની સારવાર બાદ આરોપીને રજા આપવામાં આવીપોલીસ પકડથી લાંબા સમયથી ફરાર સલમાન લસ્સી વિરુદ્ધ હત્યા, હત્યાના પ્રયાસ, ખંડણી અને મારામારી સહિત 14 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ આરોપી શુક્રવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યે નવસારીના ડાભેલ ખાતે પોતાની પત્નીના ઘરે છુપાયો હોવાની ચોક્કસ માહિતી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે છાપો મારતાં જ આરોપીએ ચપ્પુ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિણામે, પોલીસે પોતાના બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું, જેમાં સલમાનના પગના ભાગે ગોળી વાગી. ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ તેને રજા આપવામાં આવી. માથાભારે આરોપીના બોલ સંપૂર્ણપણે બદલાઈ ગયામાત્ર ત્રણ દિવસની હોસ્પિટલની સારવાર અને કાયદાના સકંજામાં સપડાયા બાદ માથાભારે આરોપીના બોલ સંપૂર્ણપણે બદલાઈ ગયા. બહાર આવતા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને કસ્ટડીમાં લીધો ત્યારે જાણે તેને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એવું લાગ્યું. સિવિલ હોસ્પિટલના બારણે ઊભા રહીને પોલીસ પકડમાં રહેલા સલમાને જે વાત કહી, તે સાંભળીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. બહાર આવીશ તો 40 ગામ દૂર જતો રહીશ સલમાનનું કબૂલાતનામું- મારું નામ સલમાન લસ્સી છે. હું મીઠી ખાડી, લિંબાયતમાં રહું છું. મારા પર 302, 326, 323, 324 જેવા ગુનાઓ છે. અત્યારે હું બચી ગયો છું અને જો મને કંઈ થઈ જાત તો મારા પરિવારનું શું થાત? જો હું અહીંથી છૂટીને બહાર આવીશ તો 40 ગામ દૂર જતો રહીશ. તમે પણ એવો કોઈ ગુનો ન કરો, જેનાથી તમારા પરિવારને તકલીફ થાય. ગુન્હાખોરીથી દૂર રહો અને શાંતિથી જીવો, શાંતિથી રહો. ઈજાને કારણે હવે લોકો 'સલમાન લંગડો' કહી રહ્યા છેમાત્ર થોડા દિવસ પહેલાં પોલીસ પર હુમલો કરનાર આ ખૂંખાર આરોપીનું હૃદય પરિવર્તન સો ચૂહે ખા કે બીલ્લી હજ પે ચલી જેવો ઘાટ સૂચવે છે. હાલમાં સલમાન લચ્છી ઉર્ફે લસ્સી, જેને ઈજાને કારણે હવે લોકો 'સલમાન લંગડો' કહી રહ્યા છે, તેની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પોલીસ પર હુમલાના કેસમાં પણ સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. આ અંગે વધુ કાર્યવાહી સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં બે અલગ અલગ અકસ્માતોમાં એક પરપ્રાંતિય શ્રમજીવીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અન્ય અકસ્માતમાં મોપેડ સવાર દંપતિને ઈજા પહોંચી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, ગત રાત્રે સારસા-રાજપારડી માર્ગ પર સીંગચણાની લારી ફેરવીને ગુજરાન ચલાવતા 45 વર્ષીય રામબરન મહારાજદીન બહેલિયા (રહે. રાજપારડી,મૂળ ઉત્તરપ્રદેશ) રાજપારડી તરફ પાછા ફરતા હતા. આ દરમિયાન રાત્રીના પોણા આઠ વાગ્યાના અરસામાં માધુમતી ખાડીના પુલ નજીક અજાણ્યા વાહનચાલકે તેમને અડફેટમાં લેતા ગંભીર ઇજાઓ થવાને કારણે તેઓ લોહીલુહાણ થયા હતા. આ ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. ઇજાગ્રસ્તને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે અવિધા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના સ્થળેથી અજાણ્યા વાહનચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. રાજપારડી પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છેકે, ઘટનાસ્થળથી રાજપારડી ચાર રસ્તા સુધીના વિસ્તારમાં અનેક ધંધાકીય સ્થળોએ સીસીટીવી કેમેરા સ્થાપિત છે, જેના આધારે પોલીસ અકસ્માત સર્જી નાસી ગયેલા વાહનની ઓળખ માટે તપાસ ચલાવી રહી છે. બીજી ઘટના ગોવાલી નજીકની છે, જ્યાં તા.8મીના રોજ રાત્રીના નવ વાગ્યાના અરસામાં હાઇવા ટ્રકે એક્ટિવા મોપેડને અડફેટમાં લેતા મોપેડ સવાર ધનરાજ મંગાભાઇ પટેલ અને તેમની પત્ની ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. આ ઘટનાને લઇ ઝઘડિયા પોલીસે હાઇવા ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ભરૂચ- ઝઘડિયા ધોરીમાર્ગ પર સતત વધતા અકસ્માતો લઇ લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે અને સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા માંગ ઉઠી છે.
ગુજરાતના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ અને માવઠાના મારથી પાયમાલ થઈ ગયા છે. ખેતરમાં વાવેલો પાક નિષ્ફળ જતાં ખેડૂત આર્થિક મુશ્કેલીમાં મુકાયો છે. આ ગંભીર પરિસ્થિતિમાં સરકારે તાજેતરમાં ₹ 10,000 કરોડની સહાયની જાહેરાત કરી હતી, જેને ખેડૂતોએ 'લોલીપોપ' સમાન ગણાવી નકારી દીધી છે. આ સહાયની જાહેરાત સામે વહેલી તકે ખેડૂતોને યોગ્ય અને પૂરતી સહાય આપવા, તેમજ તેમની મૂળભૂત માંગોનું નિરાકરણ લાવવા માટે, આજે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગેવાનીમાં હજારો ખેડૂતો જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને સરકારને 12 દિવસનું આખરી અલ્ટીમેટમ આપ્યું હતું. આજના આ કાર્યક્રમની સૌથી મહત્ત્વની વાત એ હતી કે આ આંદોલનને બિનરાજકીય રાખીને તમામ રાજકીય પક્ષો – જેમાં આમ આદમી પાર્ટી (AAP), કોંગ્રેસ અને અન્ય પક્ષોના નેતાઓ – પોતાના પક્ષની વિચારધારા બાજુએ મૂકીને માત્ર ખેડૂતોના હિત માટે એક મંચ પર એકઠા થયા હતા. આ એકતાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ખેડૂતોના મુદ્દે હવે કોઈ રાજકારણ નહીં, પરંતુ ફક્ત ન્યાયની વાત થશે. કોંગ્રેસના આગેવાન પાલભાઈ આંબલીયાએ સ્પષ્ટ શબ્દોમાં સરકારની સહાયની જાહેરાત પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, છેલ્લી સાત સિઝનથી કમોસમી વરસાદનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે ઓક્ટોબર મહિનાની અતિવૃષ્ટિ જીવલેણ બની છે. સરકાર પોતે જ 40,000 કરોડના નુકસાનની વાત કરે છે, જ્યારે માત્ર મગફળીના પાકનું જ નુકસાન 80 થી 85 હજાર કરોડનું થયું છે. આટલા મોટા નુકસાન સામે સરકારે માત્ર 10,000 કરોડ આપવાની જાહેરાત કરી છે, જે નજીવી રકમ સમાન છે. તેમણે ઉમેર્યું હતું કે, તેઓ આજે કોંગ્રેસના આગેવાન તરીકે નહીં, પરંતુ ખેડૂતના દીકરા તરીકે અહીં ઉપસ્થિત થયા છે, કારણ કે ખેડૂતોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ જરૂરી છે. ખેડૂતોની મુખ્ય ૩ માંગો અને અલ્ટીમેટમ 1.₹ 3 લાખ સુધીનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આજના આ જનઆંદોલનનું નેતૃત્વ કરતાં સરકાર સમક્ષ ખેડૂતોની મુખ્ય ત્રણ માંગો રજૂ કરી હતી. આ માંગો સ્પષ્ટપણે દર્શાવે છે કે ખેડૂતો માત્ર સહાય નહીં, પરંતુ તેમના આર્થિક બોજમાંથી કાયમી રાહત ઈચ્છે છે જેમાં પાક ધિરાણ માફી અને સીધી રોકડ સહાય ખેડૂતોનું ₹ 3 લાખ સુધીનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે.જે ખેડૂતોએ પાક ધિરાણ ન લીધેલું હોય, તેમને સીધી રોકડ રકમ તેમના ખાતામાં જમા કરાવવામાં આવે. 2.ટેકાના ભાવે ખરીદીના ધોરણોમાં વધારો અને પલળેલી મગફળીની ખરીદી સરકારે હાલમાં ટેકાના ભાવે (MSP) જે ખરીદી શરૂ કરી છે, તેમાં પ્રતિ ખેડૂત 125 મણની ખરીદી મર્યાદા છે, તેને વધારીને 200 મણ કરવામાં આવે.માવઠાના કારણે જે મગફળી પલળી ગઈ છે અને જે વેપારીઓ દ્વારા મફતના ભાવે લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તેવી મગફળીને પણ સારા ભાવે ટેકાના ભાવે ખરીદવામાં આવે, જેથી ખેડૂતોને નુકસાન ન થાય. 3.પેન્ડિંગ પાક વીમાનું તાત્કાલિક ચૂકવણું વર્ષ 2019 નો જે પાક વીમો મંજૂર થયેલો છે, પરંતુ આજ દિન સુધી ખેડૂતોને ચૂકવવામાં આવ્યો નથી, તે તાત્કાલિક ધોરણે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે આ ઉપરાંત પાલભાઈ આંબલીયાએ જમીન માપણી રદ કરવાના મુદ્દાને પણ આ આંદોલનમાં મુખ્ય માંગ તરીકે જોડીને, ખેડૂતોને સંપૂર્ણ ન્યાય મળે તેવી લડત શરૂ કરી છે. 12 દિવસનું અલ્ટીમેટમ અને ગાંધીનગર કૂચની ચીમકી કલેક્ટર કચેરીએ એકઠા થયેલા હજારો ખેડૂતોએ સર્વસંમતિથી સરકારને 12 દિવસનું આખરી અલ્ટીમેટમ આપવાનો નિર્ણય કર્યો છે. પરેશ ગોસ્વામીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, આ અલ્ટીમેટમ કલેક્ટર મારફતે સરકાર સુધી પહોંચાડવામાં આવશે. જો બાર દિવસમાં સરકાર ખેડૂતોને યોગ્ય ન્યાય નહીં આપે અને મુખ્ય માંગોનું નિરાકરણ નહીં લાવે, તો ગુજરાતના તમામ ખેડૂતો ટ્રેક્ટરો સાથે ગાંધીનગર કૂચ કરશે. આવનારા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન અને કાર્યક્રમો આપીશું તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે.
ભારતના સુરક્ષા અને ન્યાય ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ગૌરવની ક્ષણ આવી છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના સ્થાપક કુલપતિ અને પદ્મશ્રીથી સન્માનિત ડૉ. જે.એમ. વ્યાસ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડેમીઝ (INTERPA)ના ઉપપ્રમુખ તરીકે ફરીથી ચૂંટાયા છે. મહત્વનું છે કે તુર્કીના નેવસેહિરમાં યોજાયેલી INTERPA એક્ઝિક્યુટિવ બોર્ડ મીટિંગ દરમિયાન આ પ્રતિષ્ઠિત ચૂંટણી કરવામાં આવી હતી. ડૉ. જે.એમ. વ્યાસ INTERPAના ઉપપ્રમુખ તરીકે ફરીથી ચૂંટાયા ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના સ્થાપક કુલપતિ અને પદ્મશ્રી થી સન્માનિત ડૉ. જે.એમ. વ્યાસ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડેમીઝ (INTERPA)ના ઉપપ્રમુખ તરીકે ફરીથી ચૂંટાયા છે. ડૉ. વ્યાસની આ પુનઃ પદ-પ્રાપ્તિ માત્ર તેમની વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ વિજ્ઞાન અને શિક્ષણ દ્વારા વૈશ્વિક સુરક્ષા અને ન્યાયને પ્રોત્સાહન આપવાની ભારતની કટિબદ્ધતા માટે એક સીમાચિહ્નરૂપ પરિણામ છે. પુનઃ વૈશ્વિક પદપ્રાપ્તિ અંગે ડૉ. જે.એમ. વ્યાસે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, INTERPAના ઉપપ્રમુખ તરીકે સેવા આપવી એ સન્માનની વાત છે. આ પદની પુનઃ પ્રાપ્તિ વૈશ્વિક સ્તરે ફોરેન્સિક વિજ્ઞાન અને પોલીસ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતના વધી રહેલા નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે. હું વૈજ્ઞાનિક પોલિસિંગ અને તાલીમના વિકાસમાં વધુ સક્રિય રીતે યોગદાન આપવા તત્પર છું. પોલીસ તાલીમનું વૈશ્વિક પ્લેટફોર્મઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડેમીઝ (INTERPA) એ 63 દેશોની 80 સભ્ય સંસ્થાઓ ધરાવતી એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. આ સંસ્થા પોલીસ તાલીમ અને શિક્ષણના ધોરણોને વધારવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડે છે. ઉલ્લેખનીય છે કે, ભારતના વરિષ્ઠ ફોરેન્સિક વૈજ્ઞાનિક ડૉ. વ્યાસનું પુનઃચૂંટાવું એ ફોરેન્સિક વિજ્ઞાન અને કાયદા અમલીકરણ શિક્ષણમાં તેમના અસાધારણ નેતૃત્વ અને યોગદાનનો પુરાવો છે. તેમના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, NFSU એ ફોરેન્સિક, સાયબર અને સુરક્ષા વિજ્ઞાનને સમર્પિત વિશ્વની સર્વપ્રથમ અને એકમાત્ર યુનિવર્સિટી તરીકે વૈશ્વિક ઓળખ ઊભી કરી છે. NFSU, જે INTERPAની એક સક્રિય સભ્ય છે, તે આંતરરાષ્ટ્રીય સહયોગ, સંશોધન આદાનપ્રદાન અને તાલીમ કાર્યક્રમોનું આયોજન કરીને વૈશ્વિક સ્તરે કાયદા અમલીકરણ એજન્સીઓની વ્યાવસાયિક ક્ષમતાઓનું નિર્માણ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત, જિલ્લામાં 16 થી 21 નવેમ્બર દરમિયાન 'એક ભારત આત્મનિર્ભર ભારત'ના સૂત્ર સાથે ભવ્ય પદયાત્રા યોજાશે. આ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે એક બેઠક યોજાઈ હતી. કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલે બેઠકમાં કાર્યક્રમની રૂપરેખા રજૂ કરતા જણાવ્યું હતું કે, વિધાનસભા દીઠ એક પદયાત્રાનું આયોજન કરાશે, જેમાંથી એક પદયાત્રા જિલ્લા કક્ષાની રહેશે. પ્રત્યેક પદયાત્રા 8 થી 10 કિલોમીટરની રહેશે. આ પદયાત્રાઓમાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે. મહત્તમ લોકો આ પદયાત્રામાં સહભાગી બને તે માટે જિલ્લાના પદાધિકારીઓ અને અગ્રણીઓ સાથે સંકલનમાં રહી કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. યાત્રાના રૂટ પર મેડિકલ ટીમની વ્યવસ્થા, મહાનુભાવોની પ્રતિમાઓની સફાઈ, સ્વચ્છતા અભિયાન, વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા અને યોગ સહિતના કાર્યક્રમો પણ યોજાશે. જિલ્લા કક્ષાની પદયાત્રા પૂર્વે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવશે. ઉજવણીના ભાગરૂપે My Bharat પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને નાગરિકો 'સરદાર@150 યંગ લીડર ક્વિઝ', 'સરદાર@150 નિબંધ સ્પર્ધા' અને 'રાષ્ટ્રીય રીલ પ્રતિયોગિતા' માં ભાગ લઈ શકશે. આ સમીક્ષા બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર ઓઝા, તમામ પ્રાંત અધિકારી તેમજ અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને હાર્દિકભાઈ ટમાલીયા સહિતના સંબંધિત અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રૂ. 9.21 કરોડથી વધુના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. પ્રમુખ હંસાબેન પારઘીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં કુલ 16 એજન્ડા પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં વિપક્ષના નેતા ભુપતભાઈ ગોધાણીએ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના દેવા માફ કરવા અને પાક વીમો ફરી શરૂ કરવા માટે ઠરાવ કરવાની માંગ કરી હતી. જોકે, શાસક પક્ષના સભ્યોએ આ માંગણીનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરકારે તાજેતરમાં ખેડૂતો માટે રૂ. 10,000 કરોડનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે અને સરકાર ખેડૂતોની ચિંતા કરે છે. આથી, વિપક્ષની માંગણીને અવગણીને કોઈ ઠરાવ કરવામાં આવ્યો ન હતો. જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી થનારા કામો માટે ડીડીઓ દ્વારા વિકાસ કમિશનરમાંથી અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો. આ અભિપ્રાયમાં વિલંબ થવાને કારણે છેલ્લા બે મહિનાથી વિકાસ કામો અટકેલા હતા, જેને હવે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.
વલસાડ તાલુકામાં ચોમાસા બાદ કરવામાં આવતા રોડ સમારકામ (પેચ વર્ક)ની ગુણવત્તાને લઈને નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થતો હોવાથી સમારકામ કરાયેલા રસ્તા ગણતરીના કલાકોમાં જ ફરીથી બિસ્માર બની રહ્યા હોવાના આક્ષેપો થયા છે. આ અંગે વલસાડના સામજીક કાર્યકર મિત દેસાઈએ નાગરિકો વતી તંત્રને આવેદન પત્ર પાઠવ્યું છે. આ રજૂઆતમાં નાગરિકોએ માર્ગ અને મકાન વિભાગ સમક્ષ માંગ કરી છે કે ડામર, કપચી અને ઓઈલ જેવી સામગ્રીની ગુણવત્તાની વૈજ્ઞાનિક પદ્ધતિથી સક્ષમ લેબોરેટરીમાં તપાસ કરાવવામાં આવે. આ ઉપરાંત, સમારકામની ગુણવત્તા નક્કી કરવા માટે નિષ્ણાતોની એક કમિટી બનાવવામાં આવે. વલસાડવાસીઓએ વધુમાં જણાવ્યું છે કે, રોડ સમારકામમાં બેદરકારી દાખવનારા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આનાથી પ્રજાના ટેક્સના પૈસાનો યોગ્ય ઉપયોગ થશે અને નાગરિકોને ટકાઉ માર્ગ સુવિધા મળી રહેશે. વધુમાં જણાવાયું કે, કેટલાક કોન્ટ્રાક્ટરો ફોન પર ઉદ્ધત અને બેજવાબદાર જવાબો આપે છે. ઉદાહરણ તરીકે, વલસાડ ઓવરબ્રિજથી કન્ટ્રી ક્લબ સુધીનો રસ્તો દિવાળીના એક દિવસ પહેલાં રિપેર કરાયો હતો, પરંતુ થોડા જ દિવસોમાં તે ફરીથી જર્જરિત થઈ ગયો. જ્યારે કોન્ટ્રાક્ટરને પૂછવામાં આવ્યું ત્યારે તેણે વરસાદ પડે એટલે રસ્તા ધોવાવાના જ એવો ઉદ્ધત જવાબ આપ્યો હતો, જેનાથી નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે મોટા પ્રમાણમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે. પાકને ભારે નુકસાન થવાના કારણે ખેડૂતો આત્મહત્યા કરવા સુધીનું પગલું ભરી રહ્યા છે. કમોસમી વરસાદ બાદ ચાર જેટલા ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ખેડૂતોની આત્મહત્યાની ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. સરકારે ખેડૂતો માટે 10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ નહીં પડીકું જાહેર કર્યું હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ નહીં કરવામાં આવે તો અનેક ખેડૂતો આત્મહત્યા કરી શકે તેવી કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી છે. '10 હજાર કરોડનું પેકેજ નહીં પડીકું જાહેર કર્યું'કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, એક તરફ ગુજરાતમાં આર્થિક રીતે ખેડૂતો પાયમાલ થયા છે, દરેક રીતે હેરાન પરેશાન છે, આત્મહત્યા કરવા સુધીનું પગલું ભરી રહ્યા છે. તેની ચિંતા કરવાના બદલે તેના માટે આગળ આવવાના બદલે ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી સરકાર ઢોલ પીટી રહી છે કે અમે 10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે. પરંતુ આ પેકેજના નામે પડીકું જાહેર કરવામાં આવ્યું છે. જેમાંથી ખેડૂતોને વીઘે માત્ર 3500 રૂપિયા જ મળવાના છે. આ સરકારની આવી ખોટી નીતિના કારણે જે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જે ઉદ્યોગપતિઓ માટે લાલ ઝાંઝમ બિછાવે છે. પરંતુ જ્યારે ખેડૂતો મરી રહ્યા છે તેની ચિંતા કરતી નથી. કેટલાનો ભોગ લેશો? કેટલા મરે તેની રાહ જોશો?વધુમાં જણાવ્યું હતું કે, જેના કારણે પહેલા દ્વારકામાં અને ત્યાર બાદ ઉનામાં ખેડૂતે આત્મહત્યા કરી, જેથી દુઃખ સાથે કહેવું પડે છે કે પેકેજ જાહેર કર્યાના બે દિવસમાં રાજકોટના કોટડા સાંગાણીમાં ખેડૂતે આત્મહત્યા કરી, જસદણના ખેડૂતે આત્મહત્યા કરી છે. ભુપેન્દ્ર પટેલને પૂછવું છે કે, કેટલા ખેડૂતોનો ભોગ લેશો. કેટલા લોકો મરે તેની રાહ જોશો. ખાલી પેકેજની જાહેરાતો કરો છો પણ જમીન પર જે હકીકત છે તે તો જુઓ. તમે ખેતરમાં ફોટા પડાવવા માટે ગયા પણ ખેડૂતોની હાલત ના સમજ્યા. તેના માટે દયા રાખી વધારે કેવી રીતે મદદ થાય તે વિચાર ના આવ્યો. 'ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવામાં આવે'સરકારને કહેવા માગીએ છીએ કે, આ ગુજરાતમાં ખેડૂતોને મરતા બચાવવામાં આવે. તાત્કાલિક ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવામાં આવે. નહિતર ચાર ખેડૂતોએ આત્મહત્યા કરી તે આંકડો આવનાર સમયમાં ખૂબ મોટો થઈ જશે. જો સરકાર નહીં જાગે તો ખેડૂતો માટે મદદ કરવા આગળ નહીં આવે તો તેના સંપૂર્ણ દેવા માફ નહીં કરે તો ગુજરાતમાં ખેડૂતોની હાલત ખૂબ ખરાબ થવાની છે. તેની જવાબદારી સરકારની રહેશે.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવન સૂત્ર 'બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું'ની ભાવનાને કેન્દ્રમાં રાખીને BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર, ખેરવા (મહેસાણા)ના વિદ્યાર્થીઓએ કાર્ય કર્યું હતું. સેવા કરુણા દયા અને માનવતા જેવા ઉચ્ચ મૂલ્યોનું સિંચન વિદ્યાર્થીઓના જીવનમાં થાય એવા ઉદ્દેશ સાથે આ વિદ્યાર્થીઓએ મહેસાણાની સિવિલ હોસ્પિટલ અને લાયન્સ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. 123 જેટલા દર્દીઓની બેડ ટુ બેડ મુલાકાત લીધીઆ મુલાકાત માત્ર દર્દીઓને મળવા પૂરતી સીમિત નહોતી પરંતુ, તેમના માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરીને તેમને માનસિક શક્તિ અને આશાનો સંદેશ આપવાનો હતો.કુલ 123 જેટલા દર્દીઓની બેડ ટુ બેડ મુલાકાત લઈને આ વિદ્યાર્થીઓએ તેમની બીમારીઓમાંથી જલ્દી સાજા થવા માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. બાળકોની આ નાનકડી અને નિર્દોષ પ્રાર્થનાએ દર્દીઓના મનમાં શાંતિ, હૂંફ, હિંમત, આશા અને આનંદનો અનુભવ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે-સાથે આવા ઉચ્ચ મૂલ્યોનું સિંચનઆજના સમયમાં જ્યારે બાળકોના પોતાના સગાં-સંબંધીઓ સાથેના વ્યવહાર પણ ગૌણ થતા જાય છે ત્યારે બીજા માટે આવી લાગણી અને ભાવના ઉજાગર કરવાના શાળાના આ કાર્યથી દર્દીઓના પરિવારજનો તેમજ હોસ્પિટલના કર્મચારીઓ અને ડોક્ટરો ખૂબ પ્રભાવિત થયા હતા. અભ્યાસની સાથે-સાથે આવા ઉચ્ચ મૂલ્યોનું સિંચન કરવાનું કાર્ય BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર, ખેરવા દ્વારા સરાહનીય રીતે કરવામાં આવી રહ્યું છે.
નવસારી મહાનગરપાલિકામાં યોજાયેલી ત્રિમાસિક સમીક્ષા બેઠકમાં વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. ડ્રેનેજ નિકાલના પોઈન્ટ્સની ઓળખ માટે સર્વે ચાલી રહ્યો છે. આ ઉપરાંત, નિરાલી હોસ્પિટલ પાસે નેશનલ હાઇવેથી ભેસતખડાને પૂર્ણા નદી સાથે જોડતા ક્રીક વિકાસ માટેનો DPR તૈયાર થઈ ગયો છે. શહેરમાં પાણી પુરવઠાની સ્થિતિ અંગે માહિતી અપાઈ હતી કે, મ્યુનિસિપલ કોર્પોરેશન સરોવરમાંથી કાચું પાણી ખેંચીને, ટ્રીટમેન્ટ કરીને દિવસમાં બે વાર આશરે 72 MLD પાણી પૂરું પાડે છે. જેમાં તળાવમાંથી 47 MLD અને બોરવેલમાંથી 25 MLD પાણીનો સમાવેશ થાય છે. પાણી પુરવઠા પ્રણાલી માટે લાંબા ગાળાનું આયોજન શરૂ કરાયું છે. ટ્રીટ કરેલા પાણીની ગુણવત્તા પર લોકોનો વિશ્વાસ વધારવા માટે RO પાણી અને સપ્લાય કરાયેલા ટ્રીટેડ પાણીની તુલનાત્મક એનાલિસિસ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખંભલાવમાં પશુ આશ્રયસ્થાન સ્થાપવા માટે જમીન ઓળખી કાઢવામાં આવી છે અને તેનો પ્રસ્તાવ નવસારી કલેક્ટરને સુપરત કરાયો છે. આશ્રયસ્થાનના બાંધકામનું કાર્ય શરૂ થઈ ગયું છે. નવી ઓફિસ બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન માટે દેવર્ષ કન્સ્ટ્રક્શનને ટેન્ડર અપાયું છે અને પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ છે. ચોમાસા દરમિયાન રોડ પરના ખાડાઓની ફરિયાદો માટે સમર્પિત મોબાઈલ નંબરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રોડ રીસર્ફેસિંગ પ્રોજેક્ટ 31 ડિસેમ્બર, 2025 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. હંસાપોર ખાતે મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેની ટેન્ડર પ્રક્રિયા ઓનલાઈન ચાલી રહી છે. સરકારી સહાય હેઠળ કુલ 15 PM ઈ-બસો પ્રદાન કરવામાં આવશે, અને NMC એર-કન્ડિશન્ડ બસોની વ્યવસ્થા કરશે. સોસાયટીઓમાં વેસ્ટ સેગ્રીગેશન અને હોમ કમ્પોસ્ટિંગ અંગે જાગૃતિ લાવવા કામગીરી શરૂ કરાઈ છે. હાલમાં 2 સોસાયટીઓમાં વેસ્ટ સેગ્રીગેશન શરૂ થયું છે અને ડિસેમ્બર 2025 સુધીમાં દરેક વોર્ડમાં 2-3 સોસાયટીઓમાં આ પ્રથા નિયમિતપણે શરૂ કરવાનું આયોજન છે. CD વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ માટે જમીનનો પ્રસ્તાવ મોકલાયો છે અને તેના ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરાઈ છે. વપરાયેલા ફૂલો અને અન્ય સામગ્રીમાંથી અગરબત્તીઓ સફળતાપૂર્વક તૈયાર કરવામાં આવી છે. તળાવોમાં ડ્રેનેજ અથવા વેસ્ટવોટરનો નિકાલ સખત રીતે પ્રતિબંધિત કરાયો છે. રોડ સફાઈ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે ન્યુસન્સ ટેન્કરોની ખરીદી કરીને તેનો ઉપયોગ શરૂ કરાયો છે. સામાજિક પહેલ હેઠળ પડોશ સ્તરના બગીચાઓમાં મૂળભૂત ફિઝીયોથેરાપી અને ફિટનેસ ઇક્વિપમેન્ટ સાથેનું યોગ કેન્દ્ર વિકસાવવાની પ્રગતિ ચાલી રહી છે. HP ગોપાણીને શહેરના વિવિધ વિસ્તારોમાં દસ આકાંક્ષી જાહેર શૌચાલયો બાંધવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટ ચાલુ છે. આગામી મહિનાઓ માટે બુક ફેર, નશા મુક્ત ભારત કેમ્પ, સરદાર સન્માન યાત્રા, ફ્લાવર શો, ફૂડ ફેસ્ટિવલ, NMC ક્રિકેટ ટુર્નામેન્ટ, નાઇટ મેરેથોન અને NMCની 1લી એનિવર્સરી જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
દેવગઢ બારીયા નગરપાલિકામાં પ્રમુખ પદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના સસ્પેન્ડેડ સભ્ય નીલ સોનીએ અપક્ષ તરીકે ચૂંટણી લડીને 16 મતોની બહુમતી મેળવી પ્રમુખ પદ હાંસલ કર્યું છે, જ્યારે પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલને માત્ર 8 મત મળ્યા હતા. આ સાથે નગરપાલિકામાં અપક્ષની સત્તા સ્થાપિત થઈ છે. ગુજરાત હાઈકોર્ટમાં નગરપાલિકા ચૂંટણીને લઈને થયેલી અરજીની સુનાવણી બાદ કોર્ટે ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો હતો. તે અનુસાર આજે નગરપાલિકા સભાખંડમાં પ્રાંત અધિકારી તેમજ ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં અને નાયબ કલેક્ટર હિતેશ ભગોરાના નેતૃત્વમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. નગરપાલિકાની ચૂંટણીને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નગરપાલિકાને પોલીસ છાવણીમાં તબદીલ કરી દેવામાં આવી હતી. બે ઉમેદવારો – નીલ સોની અને ધર્મેશ કલાલે ઉમેદવારી નોંધાવી હતી. વિશ્વાસ મતની પ્રક્રિયામાં નીલ સોનીને 16 સભ્યોનું સમર્થન મળ્યું, જ્યારે ધર્મેશ કલાલને 8 મત મળ્યા. આમ, નીલ સોનીને નગરપાલિકા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. નીલ સોનીના સમર્થક સભ્યોમાં નીચે મુજબના નામ સામેલ છે: ધર્મેશ કલાલના સમર્થક સભ્યોમાં નીચે મુજબના નામ છે 17 ઓક્ટોબરે નીલ સોની અને તેમના સમર્થકોએ પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ બળવો કર્યો હતો, જેના કારણે ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હતા. આ ચૂંટણીમાં ભાજપના 6 બળવાખોર સભ્યોએ અપક્ષના 8 અને કોંગ્રેસના 2 સભ્યોના ટેકાથી ધર્મેશ કલાલને પદભ્રષ્ટ કર્યા છે. નગરપાલિકામાં કુલ 24 સભ્યોમાંથી 16ના સમર્થનથી નીલ સોનીએ સત્તા હાંસલ કરી છે. નવનિયુક્ત પ્રમુખ નીલ સોનીએ જણાવ્યું હતું કે, દેવગઢ બારીયા નગરપાલિકાના 24માંથી 16 સભ્યોએ મને બહુમતી સાથે પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે, તે બદલ હું તમામ સભ્યોનો આભાર માનું છું. આવનાર સમયમાં તમામ 24 સભ્યોને સાથે રાખીને દેવગઢ બારીયાનો વિકાસ કરીશું. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ભાજપ સરકાર તેમજ નાયબ મુખ્યમંત્રી અને યુવાનોના આઇકોન હર સંઘવી સાથે મળીને વિકાસ કરીશું. કોઈપણ પક્ષપાત વગર સંપૂર્ણ વિકાસ થાય તે અમારો સંકલ્પ છે. દેવગઢ બારીયા જિલ્લો બને તે માટે ભાજપ સરકાર સાથે આગળ વધીશું. ભાજપની સત્તા પાડવામાં પોતાના જ પાર્ટીના સભ્યોની ભૂમિકા નિર્ણાયક રહી છે, જેના કારણે દેવગઢ બારીયાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ આ મામલે કેવું વલણ અપનાવશે તે આવનાર સમયમાં જોવું રહ્યું.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો બીજો દિવસ છે. સમગ્ર ગુજરાતમાં ગઈકાલથી મગફળી ખરીદી શરૂ થઈ છે. અરવલ્લી જિલ્લામાં 17,000થી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આજે સવારથી જ ખેડૂતો મગફળી વેચવા ઉમટી પડ્યા હતા. અરવલ્લી જિલ્લામાં કુલ 6 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી માટે તંત્ર સજ્જ છે. ગઈકાલે મોડાસા કેન્દ્ર પરથી ફક્ત એક જ ટ્રેક્ટરની મગફળી ખરીદી શકાઈ હતી. આજે 50 ખેડૂતોને મગફળી વેચવા માટે મેસેજ કરવામાં આવ્યા હતા, જેના પગલે સવારથી જ ખેડૂતોએ ટ્રેક્ટરોની લાંબી કતારો લગાવી હતી. તંત્ર દ્વારા ત્રણ વજન કાંટા ગોઠવીને મજૂરો દ્વારા મગફળી તોલવાની કામગીરી શરૂ કરાઈ છે. ખેડૂતોને કોઈ તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મગફળી વેચવા માટે ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેમ છતાં તેઓ હાલના જાહેર કરાયેલા ભાવમાં વધારો કરવાની વિનંતી કરી રહ્યા છે. આ અંગે ખેડૂત સુરેશ પટેલે જણાવ્યું હતું કે, મોડાસાના બાજકોટ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર શરૂ થવાથી ખેડૂતો ખુશ છે. અહીં વ્યવસ્થા અને તોલાટ પણ સારો છે. જોકે, ખેડૂતોને મગફળીના એક મણ દીઠ રૂ. 1472 મળે છે, તેમાં રૂ. 200 થી 300 નો વધારો કરવામાં આવે તેવી તેમની માંગ છે. તેમણે ઉમેર્યું કે તેમની જમીનમાં મગફળીનો જ પાક થાય છે અને દર વર્ષે ઉતારામાં ઘટાડો થતો હોવાથી ખેડૂતોને નુકસાન થાય છે. આથી ભાવ વધારો અપાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
પંચમહાલમાં 7 અકસ્માતમાં 4ના મોત, 5 ઇજાગ્રસ્ત:ગોધરા-ઘોઘંબા તાલુકામાં જુદા જુદા બનાવો બન્યા
પંચમહાલ જિલ્લાના ગોધરા અને ઘોઘંબા તાલુકામાં છેલ્લા કેટલાક કલાકોમાં સાત જુદા જુદા અકસ્માત સર્જાયા છે. આ ઘટનાઓમાં કુલ ચાર વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ અને કાકણપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગોધરા તાલુકાના કાસુડી ગામે મોડી રાત્રે બાઇક અથડામણમાં પ્રભાતસિંહ બારીયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં સમરસિંહ બારીયા ઇજાગ્રસ્ત થતા તેમને ગોધરા સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયા છે. ઘોઘંબા તાલુકાના ઝાખરીયા ગામે બાઇક પર જઈ રહેલા સુરેશભાઈ વજેસિંહ રાઠવાને અજાણ્યા વાહને ટક્કર મારતા તેમનું પણ મોત થયું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં મોકલાયો છે. ગોધરા તાલુકાના ટીંબા ગામે શંકર લહેરના મુવાડા ખાતે વિક્રમભાઈ વાઘાભાઈ ઠાકોરનું લીમડાના ઝાડ પરથી પડી જવાથી આકસ્મિક મોત થયું હતું. તેમના મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામના પ્રભાતભાઈ રવજીભાઈ પગી અને શેમાની મુવાડીના વિજયભાઈ રમણભાઈ સોલંકી પણ જુદા જુદા અકસ્માતોમાં ઇજાગ્રસ્ત થયા હતા, જેમને ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તાજેતરમાં બપોરના સમયે ગોધરા તાલુકાના છક્કડીયા ગામે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક આઈશર ટ્રકે બાઇક પર સવાર ત્રણ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બાઇક રોડ પર ઘસડાતા શહેરાના વતની હેતભાઈ સુરેશભાઈ પગીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં બાઇક પર સવાર અન્ય બે વ્યક્તિઓ, કાવ્ય મહેશભાઈ મારવાડી અને જયેશભાઈ ગણપતભાઈ ખાંટ, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક કાકણપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયેશભાઈ ગણપતભાઈ ખાંટને વધુ ઇજાઓ થતાં તેમને ગોધરા અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે.
સુરતના સી.કે. પીઠ્ઠાવાલા સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફીની મેચ દરમિયાન એક ઇતિહાસ નોંધાયો છે. મેઘાલય તરફથી રમતા 25 વર્ષીય આકાશે અરુણાચલ પ્રદેશ સામે 11 બોલમાં અણનમ 50 રન ફટકાર્યા, જે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. ફાસ્ટ બોલર એવો આકાશે 8માં ક્રમે બેટિંગ ઉતરીને ધાકડ પર્ફોર્મન્સ આપી સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. જો કે હવે તે ઓલરાઉન્ડર બની ચૂક્યો છે. દિવ્ય ભાસ્કરે આજે આકાશ ચૌધરી સાથે વાત કરી હતી. જમાં તેણે અહીં સુધી પહોંચવાના સંઘર્ષ અંગે જણાવ્યું હતું. એક સામાન્ય પરિવારમાંથી આવતા અને પિતા વેલ્ડિંગનું કામ કરતા હોવા છતાં, આકાશે પોતાના સ્વપ્નને કઈ રીતે જીવંત રાખ્યું, તે અંગે જણાવ્યું હતું. નામ આકાશ અને સિદ્ધિ પણ આકાશ જેવી મેળવવા માટે કરેલી મહેનત અંગે કહ્યું કે મહેનત તો પહેલાથી જ ચાલી રહી છે, પરંતુ એવું નહોતું વિચાર્યું કે આમ અચાનક આવીને મારો રેકોર્ડ બનશે... હું આટલા રન બનાવી શકીશ. કારણ કે હું સામાન્ય રીતે ફાસ્ટ બોલર છું. મને બેટિંગ કરવાની તક ઓછી મળે છે. આ ગેમમાં મને બેટિંગની સારી તક મળી. ઓવર્સ પણ ઓછી હતી. આને તમે મહાદેવની કૃપા જ કહી શકો કે એ સમયે મારી બેટિંગ ટીમ માટે કામ આવી ગઈ. ત્રીજી સિક્સ ફટકારી ને 6 સિક્સર ફટકારવાની ગાંઠ વાળી લીધીએક બાદ એક સિક્સર મારતા હતા ત્યારની સ્થિતિ અને સામેની ટીમને પ્રેશરમાં લાવવા અંગે કહ્યું કે, ના, સામેની ટીમને પ્રેશરમાં નહોતો લાવવા માગતો પણ અમારો એક જ પ્લાન હતો. અમારી ટીમ ખૂબ જ સારી સ્થિતિમાં હતી. તેથી અમારો એક પ્લાન હતો કે અમે જલદીથી જલદી ટીમ માટે રન બનાવીએ. મારો ઇરાદો એ હતો કે ઓછા બોલમાં વધુમાં વધુ રન મારવા. પહેલા બે છગ્ગા લાગ્યા. ત્રીજો લાગ્યા પછી થોડુંક મગજમાં આવ્યું કે હવે છ છગ્ગા મારવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. અને ત્યાર પછી એ છગ્ગા લાગ્યા. સાતમો અને આઠમો છગ્ગો એ મારું વિચારીને ગયેલું નહોતું કે હું સાત-આઠ ફટકારીશ. 'મારું માઇન્ડસેટ સારું હતું અને હું રમતનો આનંદ માણવા ગયો હતો' એક ફાસ્ટ બોલર બેટિંગ માટે ગ્રાઉન્ડમાં ઉતરે અને સામે પણ ફાસ્ટ બોલર હોય, તો તે સમયે મગજમાં ચાલતા વિચારો અંગે કહ્યું કે, કશું નહીં, મારું માઇન્ડસેટ ખૂબ રિલેક્સ હતું, કારણ કે છેલ્લી ગેમમાં પણ બિહાર સામે મારી બેટિંગ સારી થઈ હતી. તેમાં પણ હું ચાર છગ્ગા મારીને આવ્યો હતો. તેથી મારું માઇન્ડસેટ સારું હતું અને હું રમતનો આનંદ માણવા ગયો હતો અને સદભાગ્યે હું આજે છ છગ્ગા મારી શક્યો. રાતોરાત સ્ટાર બનવા અને સંઘર્ષ અંગે આકાશે કહ્યું કે, હું એવું નહીં કહું કે કોઈ ખાસ સંઘર્ષ હતો. આ અમારી યાત્રા છે. હું સ્કૂલ ક્રિકેટથી આવ્યો છું. કેવી કેન્દ્રીય વિદ્યાલયમાંથી, ક્લસ્ટર, રિજનલ રમીને આવ્યો. પછી સ્કૂલ ક્રિકેટથી શિલોંગમાં જે ઇન્ટર-સ્કૂલ હોય છે, તેના દ્વારા એસોસિએશન વાળાએ મને બેક કર્યો. ત્યાંથી હું એનસીએ(નેશનલ ક્રિકેટ એકેડમી) કેમ્પમાં ગયો. ત્યાંથી સ્ટેટ રમ્યો. પછી નોર્થ-ઈસ્ટની ટીમ બની, હું અંડર-19 માં તેમાં પણ હતો.ત્યાર પછી તો પરિવારની આર્થિક સ્થિતિ પણ સારી થઈ, કારણ કે મેચની ફી આવવા લાગી. ડેબ્યુ કર્યા પછી પરિવારની સ્થિતિ થોડી સારી થઈ. અને હું એવું નહીં કહું કે કોઈ ખૂબ ખતરનાક સંઘર્ષ હતો, કારણ કે તે તો બધાના જીવનમાં હોય છે. તેથી હું તે વસ્તુ વિશે વધારે વાત કરતો નથી. 'મેં નાનપણમાં પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી, હું ટેનિસ બોલથી રમતો'ટ્રેનિંગ અને પરિવાર અંગે આકાશ ચૌધરી કહે છે કે, મેં નાનપણમાં ક્યારેય પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી નથી. હું ટેનિસ બોલથી રમતો હતો. અને ત્યાર પછી જ્યારે 16 વર્ષનો હતો, ત્યારથી એનસીએ કેમ્પ લાગ્યો. તો તમે કહી શકો કે બીસીસીઆઇએ જે અમને નોર્થ-ઈસ્ટને એનસીએ કેમ્પ આપ્યો, તે મારી પ્રોફેશનલ ટ્રેનિંગ હતી. 'પપ્પા વેલ્ડિંગ કામ અને માતા સીવણકામ કરે છે'મારા પપ્પા વેલ્ડિંગનું કામ કરે છે. તો સામાન્ય વાત છે. વેલ્ડિંગ કરીને ઘર ચલાવવું, સ્કૂલમાં ભણાવવું જ્યારે અમે ત્રણ ભાઈ-બહેન છીએ - એક દીદી, એક નાનો ભાઈ.મારા ભાઈને તો અત્યારે અમે જોઈ શકીએ છીએ , પરંતુ મારા દીદી અને મારા માટે તેમણે ખૂબ મહેનત કરી. મમ્મીએ પણ ખૂબ મહેનત કરી. મમ્મી ટેલરિંગનું કામ કરતી હતી. તો ટેલરિંગથી અમારું ઘર ચાલતું હતું. IPL અને ટીમ ઇન્ડિયા માટે રમવાનું સપનુંતેમની ક્રિકેટ કરિયર અને ભવિષ્ય અંગે કહ્યું કે, એક ફાસ્ટ બોલર તરીકે, તો પહેલા મારે ટીમને જીતાડવાની છે. અમારે ઇલિટ ગ્રુપમાં પહોંચવું છે. તે પહેલા મારા મગજમાં છે. ફાસ્ટ બોલિંગમાં મારે રહેવું છે. અત્યારે મારો પ્રથમ ગોલ તો મારી 100 ફર્સ્ટ ક્લાસ વિકેટ પૂરી કરવાનો છે. થોડોક દૂર છું. પહેલો ગોલ તે છે. અને અલ્ટીમેટ ગોલ ઇન્ડિયા માટે રમવું અને IPL (આઇપીએલ) રમવું છે, કારણ કે IPL પ્લેટફોર્મ મને તે બધું આપી શકે છે જે હું ઈચ્છું છું. વીડિયોમાં જુઓ આકાશના સતત 8 છગ્ગા ફર્સ્ટ ક્લાસમાં સૌથી ઝડપી ફિફ્ટીઆકાશ ચૌધરીએ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ બનાવ્યો છે. સૌથી ઝડપી ફર્સ્ટ-ક્લાસ હાફ સેન્ચુરીનો રેકોર્ડ ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ ટીમ લેસ્ટરશાયરના વેઇન નાઈટના નામે હતો, જેમણે 2012માં 12 બોલમાં 50 રન બનાવ્યા હતા. શ્રીલંકાના ક્લાઇવ ઇનમેને 1965માં 13 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. સમયની દૃષ્ટિએ તે સૌથી ઝડપી ફિફ્ટીની યાદીમાં બીજા ક્રમે છે. આકાશે આ હાફ સેન્ચુરી 9 મિનિટમાં પૂરી કરી હતી, જ્યારે ઇનમેને માત્ર 8 મિનિટમાં 50 રન બનાવ્યા હતા. 6 બોલમાં 6 છગ્ગા ફટકારનાર ત્રીજો ખેલાડીઆકાશ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સતત છ બોલમાં છ છગ્ગા ફટકારનાર માત્ર ત્રીજો ખેલાડી બન્યો. ગેરી સોબર્સ 1968માં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં એક ઓવરમાં છ છગ્ગા ફટકારનાર પ્રથમ ખેલાડી હતો. તેણે ગ્લેમોર્ગન અને નોટિંગહામશાયર વચ્ચેની મેચમાં માલ્કમ નેશ દ્વારા ફેંકાયેલી ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી. ત્યારબાદ રવિ શાસ્ત્રીએ 1984-85માં આ સિદ્ધિ મેળવી હતી. 2019થી રમી રહ્યો છે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ 25 વર્ષીય આકાશ કુમાર 2019થી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે 30 મેચમાં 14.37ની સરેરાશથી 503 રન બનાવ્યા છે. સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં યુવરાજ સિંહે 6 છગ્ગા ફટકાર્યા2007ના ટી20 વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે ઇંગ્લેન્ડ સામે છ છગ્ગા ફટકાર્યા હતા. તેણે એન્ડ્રુ ફ્લિન્ટોફ સાથેની દલીલ બાદ સ્ટુઅર્ટ બ્રોડના ઓવરના સતત છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા હતા.
આખરે નશાનો કારોબારી ઝડપાયો:ગાંધીનગર SOGએ NDPS ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપીને મહેસાણાથી દબોચી લીધો
રાજ્યમાં ગંભીર ગુનામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ખાસ ચાલી રહેલી ડ્રાઇવ અંતર્ગત ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ચિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગેરકાયદેસર નાર્કોટિક્સ પદાર્થોના એક કેસમાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે ખાસ ડ્રાઇવ શરૂ કરીગુજરાત રાજ્યના પોલીસ તંત્ર દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અન્વયે ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા પણ લાંબા સમયથી પોલીસની પકડથી વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના માધ્યમથી તપાસ હાથ ધરવામાં આવી હતી. એક વર્ષથી વોન્ટેડ આરોપીને મહેસાણાથી વોન્ટેડ દબોચ્યોજેના પગલે SOG ટીમે ટેકનિકલ ડેટા એનાલિસિસ અને સ્થાનિક બાતમીદારો પાસેથી મળેલી ચોક્કસ માહિતીના આધારે આરોપીના આશ્રય સ્થાનો ઉપર કોમ્બિંગ હાથ ધર્યું હતું અને સુનીલભાઈ ઉર્ફે 'સાઈ' તુલસીદાસ માખીજા(રહે.ઝુલેલાલ સોસાયટી, તાલુકો કડી, જિલ્લો મહેસાણા) ને ઝડપી લીધો હતો. આરોપી સુનિલ છેલ્લા એક વર્ષથી NDPSના ગુનામાં વોન્ટેડ હતો. જે પોલીસ ધરપકડથી બચવા આશ્રય સ્થાનો બદલતો રહેતો હતો. જેને પકડીને ચિલોડા પોલીસને સોંપી દેવાયો છે.
સેટેલાઈટ વિસ્તારમાં આનંદ નિકેતનની સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો હતો. આનંદ નિકેતનની સ્કૂલ બસ ડિવાઇડર પર ચડી ગઈ હતી. સ્કૂલ બસચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. સ્કૂલ બસ જઈ રહી હતી ત્યારે અચાનક એક બાઇકચાલક વચ્ચે આવી ગયો હતો. જેને બચાવવા જતા આનંદ નિકેતનની સ્કૂલ બસના ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર પર ચડી ગઈ હતી. જોકે, સમગ્ર ઘટનામાં મોટી જાનહાનિ થતા બચી ગઈ છે. બસમાં 5 વિદ્યાર્થીઓ સવાર હતાઆનંદ નિકેતનની સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો ત્યારે બસમાં 5 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. જેથી સ્થાનિક લોકોએ તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જે બાદ સ્કૂલની અન્ય બસમાં વિદ્યાર્થીઓ પોત પોતાના ઘરે લઈ જવામાં આવ્યા છે. આ અકસ્માતની ઘટનામાં કોઈ પણ વિદ્યાર્થીઓને ઇજા પહોંચી નથી. સ્કૂલ બસ ડિવાઈડર પર ચડ્યા બાદ પલટી ન ખાતા મોટી જાનહાનિ થતા ટળી છે તેમજ મળતી માહિતી મુજબ આ મામલે હજુ સુધી કોઈ પણ પોલીસે ફરિયાદ નોંધવામાં આવી હતી.
પાલનપુર જિલ્લા પંચાયત કચેરીના ત્રીજા માળનો સ્લેબ ધરાશાયી થયો હતો. આ ઘટના કચેરીઓ શરૂ થવાના સમયે બની હતી. સદનસીબે જાનહાનિ ટળી હતી. સ્લેબ ધરાશાયી થતા કચેરીના કર્મચારીઓ અને કામ અર્થે આવતા અરજદારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અગાઉ પણ જિલ્લા પંચાયતમાં પોપડા પડવાની ઘટનાઓ સામે આવી હતી. આ અંગે જિલ્લા પંચાયત કાર્યપાલક ઈજનેર એમ. જે. ઠાકોરે જણાવ્યું હતું કે,લટકતા બીમના છજાનો ભાગ પડ્યો છે. સ્ટ્રક્ચરમાં કોઈ મોટું નુકસાન થયું નથી. બીજા કોઈ ભાગમાં આવું હશે તો તેને ટૂંક સમયમાં તોડીને સરખા કરી દઈશું. તેમણે વધુમાં જણાવ્યું કે, જો કોઈને ઈજા થઈ હોત તો જવાબદારી અમારી જ હતી. આ ઈમારત આશરે 45 વર્ષ જૂની હોઈ શકે છે. સપોર્ટની દીવાલો એટલી ડેમેજ નથી કે પડી જાય. છજાવાળા ભાગને રિપેર કરાવી દેવામાં આવશે. ઠાકોરે ઉમેર્યું કે, આ બિલ્ડિંગ તોડીને નવું બિલ્ડિંગ બનાવવાનું છે અને શિફ્ટિંગની પ્રક્રિયા ચાલુ છે. આ અંગે એક જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતમાં આજે જે સ્લેબ પડ્યો છે તેના કારણે કોઈને પણ ઈજા પહોંચી નથી, પરંતુ સતત ત્રીજી વાર આવી ઘટના બની છે. તંત્ર વહેલી તકે કોઈ પગલાં લે તેવી માંગ છે.
કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમજીવીનું મૃત્યુ:લીફ્ટના ખાડામાં પટકાયા બાદ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા
વિજલપોરની એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 35 વર્ષીય શ્રમજીવી ઉમેશકુમાર સત્યનારાયણ વિશ્વકર્માનું મૃત્યુ થયું છે. તેઓ લીફ્ટ બનાવવાના ખાડામાં પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના શનિવાર, 9 નવેમ્બરના રોજ સાંજે 6 વાગ્યા આસપાસ વિજલપોરના અમરદીપ એપાર્ટમેન્ટ સામે આવેલી અભિષેક નરોત્તમ પાટીલની માલિકીની કન્સ્ટ્રક્શન સાઇટ પર બની હતી. ઉમેશકુમાર વિશ્વકર્મા ત્યાં સુથારી કામ કરતા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ઉમેશકુમાર પહેલા માળે પોતાનું કામ પૂરું કરીને દાદર પરથી નીચે ઉતરી રહ્યા હતા. તે દરમિયાન અકસ્માતે તેમનો પગ લપસ્યો અને તેઓ લીફ્ટ બનાવવા માટેના ખાડામાં નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ઉમેશકુમારને તાત્કાલિક ઓરેન્જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આઇ.સી.યુ.માં સારવાર દરમિયાન, 9 નવેમ્બરના રોજ સાંજે 7:45 વાગ્યાની આસપાસ તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે વિજલપોર પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વિજલપોર પોલીસ સ્ટેશનના કર્મચારી ભરતભાઇ લક્ષ્મણભાઇ આ અકસ્માત મોતની તપાસ કરી રહ્યા છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા લક્ષ્મણનગર ખાતે પહેલા માળ ઉપર આવેલી 10 બાય 10ની રૂમમાં ટીવીમાં શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી અને જોત જોતામાં આખી રૂમમાં આગ પ્રસરી ગઈ હતી.ત્યારે રૂમની અંદર પરિવારના સભ્યો સમયસૂચકતા વાપરી સહીસલામત બહાર નીકળી ગયા હતા.જયારે ઘટનાને પગલે સ્થળ અફરાતફરી મચી ગઈ હતી.ઘટના અંગે જાણ કરવામાં આવતા બે ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો અને આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી. ફાયર બ્રિગેડના જવાનોની સુઝબુઝને લીધે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા રહી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે, કાપોદ્રા લક્ષમણનગર પાસે આવેલા દીનદયાલનગરમાં પહેલા માળ ઉપર 10 બાય 10ની રૂમમાં પરિવારના ત્રણથી ચાર સભ્યો રહેતા હતા. દરમિયાન રાત્રે રૂમની અંદર અચાનક આગ લાગી ગઈ હતી, અને જોત જોતામાં આગ ઝડપથી આખી રૂમની અંદર પ્રસરી ગઈ હતી. જયારે આ ઘટનાને પગલે સ્થળ પર હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.ઘટના અંગે જાણ કરવામાં આવતા કાપોદ્રા અને પુણા ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી. કાપોદ્રા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર સુધીર ગઢવીએ જણાવ્યું હતું કે ટીવી અથવા ફ્રીજમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી અને આખા રૂમની અંદર પ્રસરી ગઈ હતી.ત્યારે પરિવારના સભ્યો સમયસર સુરક્ષિત બહાર નીકળી ગયા હતા. રૂમની અંદર ગેસ સિલિન્ડર પણ હતો જે આગને કારણે ગરમ થઇ ગયું હતું જોકે તે ફાટે અથવા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા સિલિન્ડરને બહાર કાઢી લેવામાં આવ્યું હતું. અડધો કલાકમાં આગને કન્ટ્રોલમાં કરી લેવામાં આવી હતી. આગને કારણે ટીવી, ફ્રીજ અને ઘર વખરી બળી ગઈ હતી. અન્ય એક બનાવમાં રામપુરા ખાતે આવેલ લોખાત હોસ્પિટલની બાજુમાં આદિલ પેલેસ આવ્યું છે. જેના છટ્ઠા માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગી ગઈ હતી.જેને પગલે ફ્લેટમાં રહેતો પરિવાર તથા આજુબાજુના રહીશોમા ભાગદોડ મચી ગઈ હતી.ઘટના અંગે જાણ કરવામાં આવતા ત્રણ અલગ અલગ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી. સબ ફાયર ઓફિસર મહેશ પટેલએ જણાવ્યું હતું કે આગ ઓલવતી વખતે એજાજ મલિક નામની વ્યક્તિ સામાન્ય દાઝી જતા તેમને 108 એમ્બ્યુલેન્સ દવારા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.ફ્રીઝમાં શોર્ટ સર્કિટ થવાતી આગ લાગી હતી.આગને કારણે ઘરમાં રહેલ ફ્રીઝ, ગાદલા કપડાં સહીત ઘર વખરીનો સામાન બળી ગયું હતું.જોકે ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યું હતું,અને આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થવા પામી હતી.
અસારવા ગામનો માંડવી મહોત્સવ પૂર્ણ:માંડવી મહોત્સવ દરમિયાન માતાજીને અસંખ્ય સાડીઓ અર્પણ કરવામાં આવી
વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ અસારવા ગામમાં દિવાળીથી દેવ દિવાળી સુધી “માંડવી મહોત્સવ” હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. ગઈકાલે રંગારંગ રીતે આ મહોત્સવની પૂર્ણાહુતિ થઈ હતી. શનિવારે તો આખી રાત ગરબા ગાઈને વહેલી સવારે માતાજીને વળાવવામાં આવ્યા હતા. શનિવારે રાત્રે તો ભક્તજનો માતાજીની ચૂંદડી લઈને ગરબે ઘૂમ્યા હતા ત્યારે સમગ્ર વાતાવરણ માતાજીની ચૂંદડીઓથી છવાઈ ગયું હતું. માતાજીને અસંખ્ય સાડીઓ અર્પણ કરવામાં આવી હતીઆ અવધિ દરમિયાન અસારવા ગામના દરેક મહોલ્લામાં ગામની કુળદેવી માતર ભવાની માતાજી તેમજ ઉમિયા માતાજીની માંડવીની પધરામણી કરવામાં આવી હતી અને માઈ ભક્તોએ ભક્તિભાવપૂર્વક ગરબા રમી માતાજીની આરાધના કરી હતી. આ વર્ષે સૌ પ્રથમવાર દેવ દિવાળીના દિવસે ખારાકુવા વાસમાં માતાજીના અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. માંડવી મહોત્સવ દરમિયાન માતાજીને અસંખ્ય સાડીઓ (ચૂંદડીઓ) અર્પણ કરવામાં આવી હતી. માંડવી મહોત્સવ હવે માત્ર એક ગામની સીમામાં નહીં પશ્ચિમ વિસ્તાર સુધી પ્રસરી ગયો“જ્યાં જાય અસારવાવાસી, ત્યાં ઊજવાય માંડવી મહોત્સવ!” — આ વાક્યને સાકાર કરતાં આ વર્ષે માતર ભવાની માતાજીની માંડવી અસારવા ગામની સીમા વટાવી થલતેજ અને સિંધુ ભવન વિસ્તાર સુધી લઈ જવામાં આવી હતી. ત્યાં પણ પારંપરિક શાસ્ત્રોક્ત વિધિ મુજબ માંડવીની સ્થાપના કરી આખી રાત ગરબા રમી માતાજીની ભક્તિ કરવામાં આવી હતી. અસારવા ગામનો આ માંડવી મહોત્સવ હવે માત્ર એક ગામની સીમામાં નહીં, પરંતુ અમદાવાદના પશ્ચિમ વિસ્તાર સુધી પ્રસરી રહ્યો છે. તેથી આ પવિત્ર અને ઉત્સાહી ઉજવણીને યોગ્ય રીતે “વાઈબ્રન્ટ માંડવી મહોત્સવ ઓફ અસારવા” તરીકે ઓળખાવી શકાય.
વડોદરા શહેરના એમજી રોડ પર આવેલી ચકાભાઇ જ્વેલર્સની દુકાનમાં ગ્રાંહક બનીને ખરીદી કરવા માટે આવેલો ચોર કર્મચારીની નજર ચુકવીને 75 હજાર રૂપિયાની કિંમતની સોનાની વીંટીની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. લવ પેટર્નની સોનાની વીંટી બતાવો તેમ કહેતા મહિલા કર્મચારીએ ટ્રેમાં અલગઅલગ ડીઝાઇનની વીંટીઓ જોવા માટે આપી હતી. પરંતુ ગઠિયો વિંટીની ચોરી કરીને ભાગ્યો હતો. સિટી પોલીસે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના એમ.જી.રોડ પર ચકાભાઈ જવેલર્સ નામની દુકાનમાં 9 નવેમ્બરના રોજ સવારના 12 વાગ્યાની આસપાસ એક ગ્રાહક આવ્યો હતો. આ શખ્સે મહિલા કર્મચારીને લવ પેટર્નની સોનાની વીંટી બતાવવા માટે કહ્યું હતું. જેથી મહિલા કર્મચારીએ સોનાની વીંટીઓ કાઢીને ટ્રેમાં બતાવી હતી. થોડીવાર સુધી સોનાની વીંટી lઓ જોયા બાદ આ શખ્સે તેને આમાંથી કોઇ પેટર્ન પસંદ નથી આવી તેમ કહીને દુકાનમાંથી નીકળી જતો રહ્યો હતો. ખરીદી નહી કરતા દુકાનમાં કામ કરતા મહિલા કર્મચારીએ ટ્રેમાં મુકેલી સોનાની વીંટીની ગણતરી કરી હતી, જેમાં એક વીંટી ઓછી હતી. જેથી મહિલા કર્મચારીએ તેના મેનેજરને વાત કરી હતી અને તાત્કાલિક દુકાનમાં લગાવેલા CCTV ચેક કર્યાં હતા ત્યારે ચોર મહિલા કર્મચારીની નજર ચુકવી ટ્રેમાં મુકેલી એક સોનાની વીંટીઓમાંથી રૂપિયા 75 હજારની કિંમતની 8.540 ગ્રામની સોનાની વિટી ચોરી કરી લીધી હતી. જેથી મેનેજર જયરાજ રાજપૂતે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે CCTVના આધારે ચોરની શોધખોળ શરૂ કરી છે.
જામનગર જિલ્લામાં સુરક્ષાના કારણોસર ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રતિબંધ જિલ્લાના 154 સંવેદનશીલ રેડ અને યલો ઝોન વિસ્તારોમાં લાગુ પડશે. જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પર આવેલો અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે. અહીં મિલિટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન, આઈએનએસ વાલસુરા, એશિયાની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી, થર્મલ પાવર સ્ટેશન સિક્કા અને જી.એસ.એફ.સી. જેવા અનેક મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક તથા સંરક્ષણ એકમો આવેલા છે. જિલ્લામાં કુલ 154 ક્રિટિકલ-સ્ટ્રેટેજિકલ મહત્વ ધરાવતા ઇન્સ્ટોલેશન્સને રેડ ઝોન અને યલો ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે. આ પૈકી 112 ઇન્સ્ટોલેશન્સ રેડ ઝોનમાં અને 42 ઇન્સ્ટોલેશન્સ યલો ઝોનમાં સમાવિષ્ટ છે. આ જાહેરનામા મુજબ, જામનગર મહાનગરપાલિકા સહિત સમગ્ર જિલ્લાના રેડ અને યલો ઝોન જાહેર કરાયેલા વિસ્તારોમાં ડ્રોન ઉડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ આગામી 8 ડિસેમ્બર, 2025 સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 223 મુજબ શિક્ષાને પાત્ર થશે.
સોલા પોલીસે ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી સોસાયટીના મકાનમાંથી મોંઘી દારૂની બોટલમાં સસ્તો દારૂ ભરીને વેચનાર શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 52 મોંઘી દારૂની ભરેલી બોટલ મળી આવી છે, જ્યારે 13 ખાલી બ્રાન્ડેડ દારૂની બોટલ પણ મળી આવી છે. આરોપી સસ્તa દારૂ મોંઘી દારૂની બોટલમાં ભરીને વેચતો હતો. આરોપી વિરુદ્ધ સોલા હાઇકોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે બાતમીના આધારે રેડ કરીસોલા પોલીસે બાતમીના આધારે ઘાટલોડિયામાં આવેલી ગજરાજ સોસાયટીના મકાનમાં રેડ કરી હતી. પોલીસે રેડ દરમિયાન દારૂની અનેક બોટલ કબજે કરી હતી. આ ઉપરાંત દારૂની બોટલ સાથે કિરણ ખટીક નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલ લાવતો હતો, જેમાં સસ્તો દારૂ ભરીને વેચી દેતો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કર્યોઆરોપી પાસેથી દારૂ ભરેલી 52 બોટલ મળી આવી છે, જ્યારે બ્રાન્ડેડ દારૂની પણ 13 ખાલી બોટલ મળી આવી છે. આરોપી પાસેથી 19931 રૂપિયાના દારૂ સહિત કુલ 24931 રૂપિયાનો મુદ્દામાલા કબજે કરવામાં આવ્યો છે. આરોપી દારૂ ક્યાંથી લાવતો હતો અને કોને વેચતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક ST બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 35 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક મહિલાની ઓળખ આંબા ગામના જાનવીબેન ઘનશ્યામભાઈ મંગાણી (ઉ.35) તરીકે થઈ છે. તેઓ GJ14 BC 9490 નંબરના બાઈક પર ગઢડાથી પોતાના ગામ આંબા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન લાઠીથી લીલીયા તરફ આવી રહેલી અમરેલી ST ડેપોની સરકારી બસે પુરપાટ ઝડપે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ST બસના પાછળના ભાગે બાઈક અથડાતા જાનવીબેન રોડ પર પટકાયા હતા. તેમને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. આ ઘટના બાદ મૃતકના પરિવારજનો દ્વારા લીલીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. લીલીયા પોલીસે ST બસ ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી તેની શોધખોળ અને ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.
રેલવેમાં મોટાભાગના મુસાફરો મુસાફરી કરતા હોય છે, ત્યારે પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ દ્વારા આગામી 2 દિવસ એટલે કે, 11 અને 12 નવેમ્બરના રોજ ગાંધીનગર હાઈવે પર રાંધેજા ખાતે આવેલો રેલવે ફાટક નં. 13 અને રેલવે ફાટક નં. 15 એ 3 કલાક માટે માર્ગ અવરજવર માટે બંધ રહેશે. બન્ને ફાટક ત્રણ કલાક માટે બંધ રહેશેઆવતીકાલથી એટલે કે, 11થી 12 નવેમ્બર, 2025 દરમિયાન રાંધેજા હાઈવે પરનો ફાટક 3 કલાક માટે માર્ગ અવરજવર માટે બંધ રહેશે. આદરજ મોટી-વિજાપુર રેલવે લાઇનના ગેજ રૂપાંતરણ પ્રોજેક્ટ માટે સૂચિત મશીન ટેમ્પિંગ કામ (MTT) માટે થઈને બંધ કરવામાં આવશે. ગાંધીનગર હાઈવેથી રૂપાલ- માણસા જતાં વાહનચાલકોને હાલાકી થશેરેલવે ફાટક નં. 13, ગાંધીનગર હાઈવેથી રૂપાલ વચ્ચે આવેલ આવતીકાલે એટલે કે, 11 નવેમ્બર, 2025ના રોજ રાત્રે 10 વાગ્યાથી 12 નવેમ્બર, 2025ના રોજ 1 વાગ્યા સુધી કુલ 3 કલાક માટે બંધ રહેશે. જ્યારે રેલવે ફાટક નં. 15, ગાંધીનગર હાઈવેથી માણસા વચ્ચે આવેલો 12 નવેમ્બરના રોજ રાત્રે 1 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી કુલ 3 કલાક માટે માર્ગ અવરજવર માટે બંધ રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રહેણાંક અને કોમર્શિયલ પ્લોટ વેચાણ કરીને કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે પણ શહેરનાં એસજી હાઇવે પર સિંધુભવન રોડ, શીલજ, આંબલી, સાયન્સ સીટી રોડ, મોટેરા, ગોતા, શીલજ અને થલતેજ સહિતના વિસ્તારોમાં આવેલા રેસીડેન્સિયલ અને કોમર્શિયલ હેતુ માટેના કુલ 13 પ્લોટ વેચાણ કરવાનો નિર્ણય AMCએ લીધો છે. છેલ્લા એક વર્ષથી સિંધુ ભવન રોડ ઉપર કોમર્શિયલ હેતુ માટે મૂકવામાં આવેલા રૂ. 333 કરોડના બે પ્લોટ સહિત મોટેરા અને થલતેજના પ્લોટ ખરીદવામાં કોઈ કંપની રસ દાખવી રહી નથી. પ્લોટ વેચાણમાંથી AMCને 1188 કરોડની આવક થવાનો અંદાજસિંધુભવન રોડ શહેરનો સૌથી પોશ વિસ્તાર અને અનેક કોમર્શિયલ કંપનીઓની ઓફિસ આવેલી છે છતાં પણ આ જગ્યા ઉપર હવે કોઈ પ્લોટ ખરીદવા રસ બતાવી રહ્યું નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેચાણ માટે મૂકવામાં આવેલા પ્લોટનું 27 અને 28 નવેમ્બરના રોજ ઇ ઓકશન થશે. આજે 10 નવેમ્બરથી લઈને 24 નવેમ્બર સુધી પ્લોટના ઈ ઓકશનમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કોમર્શિયલ અને રહેણાંક હેતુના પ્લોટ વેચાણ કરી 1188 કરોડની આસપાસની આવક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉભી કરવામાં આવશે. સિંધુભવન રોડ પરના બે પ્લોટ માટે કોઈ ખરીદદાર નથી મળતાશહેરના એસજી હાઇવે પર સિંધુભવન પાસે મેંગો હોટલની પાછળ સૌથી મોંઘા પ્લોટ વેચાણમાં મૂકવામાં આવ્યા છે. એક જ ટીપી અને FPમાં AMCના બે પ્લોટ આવેલા છે. જે બંને પ્લોટને વેચાણ માટે કાઢવામાં આવ્યા છે. સિંધુ ભવન રોડ ઉપર પ્રતિ ચોરસ મીટર જમીનનો ભાવ 2.52 લાખ રૂપિયા છે જે મુજબ બંને પ્લોટની કુલ કિંમત રૂપિયા 333 કરોડ છે. આ બંને પ્લોટ બેથી ત્રણ વખત ઓનલાઈન વેચાણ માટે મૂકવામાં આવ્યો છે પરંતુ છેલ્લા એક વર્ષથી કોઈ બિલ્ડર કે કંપની દ્વારા પ્લોટ લેવામાં આવ્યો નથી. ચાંદખેડા અને મોટેરામાં ત્રણ, સિંધુભવન રોડ પર બે, થલતેજ, વટવા, નિકોલ અને શીલજ સહિતના વિસ્તારમાં આવેલા પ્લોટ વેચાણમાં મુકાયા છે. પ્લોટના વેચામ માટે 27 અને 28 નવેમ્બરે ઈ ઓકશન યોજાશેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિવિધ વિસ્તારોમાં પાણી, ગટર, રોડ, લાઇટ, સ્ટોર્મ વોટર લાઇન, બાગબગીચા, લાયબ્રેરી, સિવિક સેન્ટર, ફાયર સ્ટેશન વગેરે માળખાકીય સુવિધા પૂરી પાડવા તેમજ વિકાસનાં કાર્યો કરવા ટીપી સ્કીમ અંતર્ગત પ્રાપ્ત થયેલા કોમર્શિયલ અને રેસીડેન્સીયલ હેતુના પ્લોટને વેચાણ કરવામાં આવતાં હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લોટનું વેચાણ કરી 1000 કરોડથી વધુની આવક ઊભી કરાઈ હતી જેમાંના 10 જેટલા પ્લોટ હજી સુધી વેચાણ થયા નથી. જેના પગલે ફરીથી પ્લોટો વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. જાહેર હરાજી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. કોર્પોરેશનની વેબસાઈટ પર 10 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી કંપનીઓ કે બિલ્ડરો રજીસ્ટ્રેશન અને બીડ ભરી શકાશે. 27 અને 28 નવેમ્બરના રોજ ઓનલાઈન ઇ ઓકશન કરવામાં આવશે.
પાટણ શહેર બી. ડિવિઝન પોલીસે ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા 32 પશુઓ સાથે એક આઇસર ગાડીના ચાલક અફઝલખાન મહેબુબઅલી પીંજારાની ધરપકડ કરી છે. આઇસરમાં 31 પાડા અને 1 પાડીને અત્યંત કષ્ટદાયક રીતે ખીચોખીચ ભરવામાં આવ્યા હતા, અને તેમના માટે ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા નહોતી. આ ઘટના પાટણ-ચાણસ્મા હાઈવે રોડ પર સુદામા ત્રણ રસ્તા પાસે બની હતી. કંબોઈ, કાંકરેજના રહેવાસી વિક્રમસિંગ શાંતુજી સોલંકીએ આ અંગે પોલીસને જાણ કરી હતી. વિક્રમસિંગ સોલંકીને તેમના કૌટુંબિક ભાઈ જીતેન્દ્રસિંગ સોલંકીનો ફોન આવ્યો હતો, જેમણે જણાવ્યું કે પાટણ લીલીવાડી ખાતે તેમની આગળ જતી એક આઇસર ગાડી (રજી. નંબર GJ-01-DZ-6030) શંકાસ્પદ જણાય છે અને તેમાં ભેંસના પાડા-પાડીઓ ખીચોખીચ ભરેલા છે. આ માહિતી મળતા, વિક્રમસિંગ અને તેમના સાથીઓએ પદ્મનાથ ચોકડીથી સુદામા જતા રસ્તે આઇસરને રોકવાનો પ્રયાસ કર્યો. આઇસર ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહેતા તેણે ગાડી ભગાવી હતી. ફરિયાદી અને અન્ય લોકોએ પીછો કરતા, આઇસર સુદામા ત્રણ રસ્તાથી થોડેક દૂર રોડનો કટ આવતા પાછી વાળી. આઇસરમાં બેઠેલા બે વ્યક્તિઓમાંથી ડ્રાઇવરને આજુબાજુના લોકોની મદદથી પકડી લેવાયો, જ્યારે બીજો ઈસમ ભાગી છૂટ્યો. પકડાયેલા ડ્રાઇવરની ઓળખ અફઝલખાન મહેબુબઅલી પીંજારા (ઉંમર આશરે 32 વર્ષ, રહેવાસી ઇન્દિરા કોલોની, પાલી, રાજસ્થાન) તરીકે થઈ છે. આઇસરની તપાસ કરતા, તેમાં કુલ 31 પાડા અને 1 પાડીને અત્યંત કષ્ટદાયક રીતે બાંધેલા મળી આવ્યા હતા. વાહનમાં પશુઓ માટે ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા નહોતી. ડ્રાઇવર અફઝલખાને કબૂલ્યું કે તેણે આ પશુઓ ડીસાના જમાલ ભુરેખાં બલોચ પાસેથી ભર્યા હતા અને તેમને નંદાસણ ખાતે ઉતારવાના હતા, જ્યાં તેમની કતલ કરવામાં આવતી હતી. કુલ 32 પશુઓની અંદાજિત કિંમત ₹96,000 આંકવામાં આવી છે. આ તમામ પશુઓને સારસંભાળ માટે ખલીપુર મહાજન પાંજરાપોળ ખાતે સોંપવામાં આવ્યા છે. પોલીસે આઇસર ચાલક અફઝલખાન પીંજારા, પશુઓ ભરાવનાર જમાલ ભુરેખાં બલોચ (રહેવાસી ડીસા) અને એક અન્ય અજાણ્યા ઈસમ વિરુદ્ધ પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ શહેરના RPF ગ્રાઉન્ડ પાસેના ડબલ લેયર રેલવે ઓવરબ્રિજ (ROB) પ્રોજેક્ટનો અદ્યતન ગ્રાફિક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયો વલસાડ શહેરના ભવિષ્યના આધુનિક સ્વરૂપને સ્પષ્ટપણે દર્શાવે છે, જે શહેરના વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ROB બ્રિજને વલસાડ શહેરના પ્રવેશદ્વાર તરીકે ઓળખ મળી રહે અને શહેરની શોભા વધે તે રીતે અનોખી ડિઝાઇનમાં તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ મલ્ટી-લેયર બ્રિજ ટ્રાફિક વ્યવસ્થાને સુધારવામાં મદદ કરશે. બ્રિજનું એક લેયર અબ્રામા અને વશિયાર તરફથી વલસાડ શહેરમાં પ્રવેશવા માટે ઉપયોગી થશે, જ્યારે બીજું લેયર વલસાડ શહેરમાંથી બહાર નીકળીને ધરમપુર રોડ તરફ જવા માટે રહેશે. આ વ્યવસ્થા ટ્રાફિકને સરળ બનાવશે. આ બ્રિજની લંબાઈ આશરે 2 કિલોમીટર છે અને તેની ઊંચાઈ લગભગ સાત માળના એપાર્ટમેન્ટ જેટલી છે. આ ઊંચાઈ પરથી વલસાડ શહેરનો અદભૂત નજારો જોવા મળશે, જે તેને માત્ર એક સુવિધા જ નહીં, પરંતુ એક આકર્ષણનું કેન્દ્ર પણ બનાવશે. આ સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹192 કરોડ છે, જે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી હાથ ધરવામાં આવ્યો છે. હાલ તેનું નિર્માણકાર્ય અંતિમ તબક્કે છે અને અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ROB બ્રિજ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થઈ જશે. આ ડબલ લેયર ROB તૈયાર થયા બાદ વલસાડ શહેરના ટ્રાફિક દબાણમાં નોંધપાત્ર ઘટાડો થશે. ખાસ કરીને રેલવે ક્રોસિંગ પાસે થતી લાંબી રાહત દૂર થશે. આ બ્રિજ વડે વશિયાર, અબ્રામા અને ધરમપુર માર્ગે અવરજવર વધુ સરળ બનશે. શહેરના નાગરિકો અને વેપારીઓએ આ પ્રોજેક્ટને આવકાર્યો છે. તેમનું માનવું છે કે આ ROB વલસાડના વિકાસનું નવું પ્રતીક બની રહેશે અને શહેરને આધુનિક શહેરી માળખું પ્રદાન કરશે.
અમેરિકા દ્વારા લાદવામાં આવેલા અસહ્ય ટેરીફના કારણે રાજકોટ શહેર અને જિલ્લાનો USA નિકાસ દર 60%માંથી ઘટીને 35% થઈ ગયો છે. જેના લીધે નિકાસકારોને અસહ્ય ફટકો પડ્યો છે. જેથી, ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે. નિકાસકારોને નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છેરાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ રાજ્યના CM ભુપેન્દ્ર પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, ભારત દેશ નિકાસ ક્ષેત્રે ખૂબ જ નોંધપાત્ર પ્રગતિ કરી રહી રહ્યું છે તેમજ સરકાર દ્વારા નિકાસકારોને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે અમેરિકા દ્વારા તાજેતરમાં લાગૂ કરવામાં આવેલ અસહ્ય વધારાના ટેરિફ દરને કારણે તમામ ઔદ્યોગિક ક્ષેત્રો અને ખાસ કરીને નિકાસકારોને નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક પૂરતા રાહત-પેકેજ જાહેર કરવા માંગરાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા છેલ્લા 6 મહિનાનો તૈયાર કરાયેલ રાજકોટ તથા આસપાસના વિસ્તારનો અંદાજીત USA નિકાસ દરના ડેટા મુજબ મે-2025માં આશરે 60% નિકાસદર હતો, જે ડોલરમાં રૂપાંતર કરતા 59,54,027.57 થયેલો છે. આ જ નિકાસદર ઓકટોબર, 2025માં ઘટીને 35%ની સાથે ડોલરમાં રૂપાંતર કરતા 35,31,112.41 થઈ ગયો છે. આમ, લગભગ 25% અને આશરે 25 લાખ ડોલર જેટલો તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. હજુ પણ આવનારા દિવસોમાં આ નિકાસદર ઘટવાની સાથે ખૂબ જ નુકશાનકારક સાબિત થઈ શકે એવું જણાઈ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમેરિકાના અસહ્ય વધારાના ટેરિફ દરના કારણે સમગ્ર ઔદ્યોગિક અને નિકાસકારોને થવા પાત્ર અસહ્ય ધંધાકીય નુકશાનીની તીવ્રતાને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને કેન્દ્ર સરકારની રાહ જોયા વગર રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક પૂરતા રાહત-પેકેજ જાહેર કરવા માંગ કરવામાં આવી છે. જેથી, ઉદ્યોગકારો અને વેપારીઓને મોટી રાહત થશે.
અમદાવાદના શાહીબાગમાં રહેતી યુવતી ઘરની કામવાળીને કેશવનગર મૂકવા ગઈ હતી જે બાદ ગાડી લઈને પરત ફરી રહી હતી ત્યારે એક કારચાલક યુવતીનો પીછો કરતા યુવતીની સોસાયટીમાં આવી ગયો હતો. યુવતીની ગાડીનો દરવાજો ખોલવા અનેક પ્રયત્ન કર્યા હતા. જોકે આજુબાજુના લોકો ભેગા થઈ જતા પોલીસને જાણ કરી હતી.પોલીસે દારૂ પીધેલા યુવકની ધરપકડ કરી છેડતી અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. કારચાલક યુવતીનો પીછો કરી તેના ઘર સુધી આવી ગયોશાહીબાગમાં રહેતી 19 વર્ષીય યુવતી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.ગઈકાલે રાતે યુવતીના ઘરે આવેલી કામવાળીને યુવતી તેના ઘરે મૂકવા કેશવનગર ગઈ હતી.કામવાળીને મૂકીને યુવતી સુભાષબ્રિજ પરથી કારમાં પરત આવી રહી હતી ત્યારે એક ઇકો સ્પોર્ટ્સ કારનો ચાલક યુવતીનો પીછો કરી રહ્યો હતો જે છેક યુવતીની સોસાયટીની અંદર આવી ગયો હતો.કાર ચાલક તેની કારમાંથી ઊતરીને યુવતીની કારનો દરવાજો ખોલવા પ્રયત્ન કરી રહ્યો હતો જોકે યુવતીએ દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. પીધેલી હાલતમાં અને કારમાંથી દારૂની બોટલ મળીઆ દરમિયાન સોસાયટીના રહીશો ભેગા થયા હતા.યુવતીના પિતા પણ નીચે આવ્યા હતા. તમામે જ્યારે યુવકની પૂછપરછ કરી ત્યારે યુવકે પોતાનું નામ લક્ષ્મણ મારવાડી(31 વર્ષ) જણાવ્યું હતું જે બાદ યુવકની ગાડી તપાસતા દારૂની બોટલ મળી આવી હતી.યુવકને મોઢામાંથી પણ દારૂની વાસ આવતી હતી જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી.માધવપુરા પોલીસે સ્થળ પર પહોંચીને યુવકની અટકાયત કરી યુવતીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિવિધ શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત, વિસલપુર કેળવણી મંડળ સંચાલિત તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપક વિધિ મહેતા અને સાત સ્નાતકોએ શાળાની મુલાકાત લીધી હતી. તેમણે વિદ્યાર્થીઓને સરદાર પટેલના જીવન, તેમના કાર્યો, સ્વદેશી વસ્તુઓનું મહત્વ, સ્વાવલંબન અને ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ રજૂઆતનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના અને સ્વદેશી પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. શાળા પરિવાર વતી ગીતાબેન કે. પટેલે અધ્યાપક વિધિ મહેતાનું સૂતરની આંટી પહેરાવી સન્માન કર્યું હતું. કાર્યક્રમના અંતે, શાળાના શિક્ષિકા ગીતાબેન આર. પટેલે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળા ખેલ મહાકુંભમાં વિજેતા:પાલડીની શાળાએ ઝોન કક્ષાની વૉલીબૉલ સ્પર્ધા જીતી
ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી ઝોન કક્ષાની અંડર-14 વૉલીબૉલ સ્પર્ધામાં પાલડીની દીવાન-બલ્લુભાઈ ગુજરાતી પ્રાથમિક શાળાની ટીમે વિજય મેળવ્યો છે. આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ શાળા રાજનગર-પાલડી વિસ્તારમાં આવેલી ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળા છે.
અમરેલી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા રૂ. 10,000 કરોડના રાહત પેકેજ અને રૂ. 15,000 કરોડની ટેકાના ભાવે ખરીદીના નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો છે. આ યોજનાઓથી ખેડૂતોને આર્થિક રીતે મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જિલ્લાના કુલ 92,118 ખેડૂતોએ મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવી છે. અમરેલી જિલ્લાના કેટલાક ખેડૂતોએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, રૂ. 10,000 કરોડનું રાહત પેકેજ અને ટેકાના ભાવની ખરીદીથી ખેડૂતો ફરી બેઠા થશે. આ નિર્ણયોથી પાક નુકસાનીનો સામનો કરી રહેલા ખેડૂતોને મોટી રાહત મળશે. અમરેલી તાલુકાના સણોસરા ગામના ખેડૂત રમણિકભાઈ ધોરાજીયાએ જણાવ્યું કે, રાજ્ય સરકારે તાત્કાલિક સર્વે કરીને બે હેક્ટર દીઠ રૂ. 44,000ની સહાય જાહેર કરી છે. આ ઉપરાંત, ટેકાના ભાવે ખરીદીની જાહેરાત પણ કરવામાં આવી છે, જેનાથી ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરી શકશે. તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો. ખેડૂત દિલીપભાઈ નાકરાણીએ આ પેકેજને ઐતિહાસિક ગણાવ્યું. તેમણે કહ્યું કે, એક હેક્ટર દીઠ રૂ. 22,000ની સહાયતાનું આ સમગ્ર રૂ. 10,000 કરોડનું પેકેજ અગાઉની કોઈપણ સરકારે જાહેર કર્યું નથી. આ સહાયતાથી ખેડૂતોને ઘણી રાહત થશે. જાળિયાના ખેડૂત કાળુભાઈ બાબરિયાએ જણાવ્યું કે, રાજ્ય સરકારે પાક નુકસાની બદલ ટેકાના ભાવે ખરીદી અને હેક્ટર દીઠ સહાય આપવાનું જાહેર કર્યું છે, જેનાથી ખેડૂતને મજબૂત ટેકો મળશે. ધારી તાલુકાના લાઇનપરાના ખેડૂત કલ્પેશભાઈ રુદાણીએ ટેકાના ભાવની ખરીદીમાં મગફળી પાસ થઈ જતાં અને બજાર કરતાં સારા ભાવ મળતા હર્ષ વ્યક્ત કર્યો. ધારી તાલુકાના ત્રંબકપુરના ખેડૂત પ્રકાશભાઈ વેકરિયાએ પણ રાજ્ય સરકારનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા અને રાહત પેકેજ આપવાથી ખેડૂતોને મોટો ફાયદો થશે. રાજ્ય સરકારની ટેકાના ભાવની ખરીદી પ્રક્રિયા માટે અમરેલી જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં નોંધણીના આંકડા નીચે મુજબ છે: બાબરા તાલુકામાં 15,950, સાવરકુંડલામાં 13,270, કુંકાવાવ-વડિયામાં 12,727, ધારીમાં 11,048, અમરેલીમાં 9,469, ખાંભામાં 8,793, રાજુલામાં 6,983, લાઠીમાં 5,555, બગસરામાં 5,420, જાફરાબાદમાં 2,231 અને લીલિયા તાલુકામાં 672 ખેડૂતોએ નોંધણી કરાવી છે. આમ, કુલ 92,118 ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે એનરોલમેન્ટ કરાવ્યું છે.
ડાયમંડ સિટી સુરતના હીરા ઉદ્યોગ ની બજારો આજથી ધમધમતી થઈ છે. દિવાળી વેકેશન બાદ નવા વર્ષની નવી આશાઓ સાથે આજથી હીરા બજારની શરૂઆત કરવામાં આવી છે. હીરાના વેપારીઓએ લેબગ્રોન ડાયમંડમાં તેજી આવતા હીરા ઉદ્યોગની સ્થિતિ સુધારા પર હોવાનું જણાવ્યું હતું. જ્યારે હજુ પણ રિયલ ડાયમંડ દબાયેલી સ્થિતિમાં હોવાનું જણાવી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષ મંદીના માર વચ્ચે રત્ન કલાકારોએ વિતાવ્યા છે. વેકેશન પૂર્ણ થઈ ગયા બાદ પણ 70 ટકા યુનિટ જ શરૂ થયાસુરતના હીરા ઉદ્યોગમાં દિવાળી બાદ પણ હજુ વેકેશન જેવો માહોલ હોય તેવું લાગી રહ્યું છે. વેકેશન પૂર્ણ થઈ ગયું હોવા છતાં પણ હજુ 70% જ યુનિટ શરૂ થયા છે અને તેમાં પણ 20 ટકામાં બપોર બાદ રજા રહે છે. આજથી હીરા બજારો પણ શરૂ થઈ છે. રીયલ ડાયમંડમાં હાલ પણ મંદી જેવો માહોલ છે જ્યારે લેબગ્રોનમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે લેબગ્રોનની ફેક્ટરીઓમાં કારીગરોની અછત જોવા મળી રહી છે. રીયલ ડાયમંડના હીરાના કારખાનાઓમાં પણ કામ ઓછું હોવાના કારણે પણ હજુ પણ કારીગરો વતનથી પરત ફરી રહ્યા નથી. દિવાળી પહેલા માહોલ નબળો હતો, હવે પબ્લિક દેખાય છે- શૈલેષ કાકડીયાઆજથી સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મીની બજાર ખાતે હીરા બજાર શરૂ થઈ છે. હીરા વેપારી શૈલેશ કાકડીયાએ જણાવ્યું હતું કે, દિવાળી પહેલાનો માહોલ થોડોક નબળો હતો અને હવે પબ્લિક ઘણું બધું દેખાય છે એટલે રિસ્પોન્સ સારા લાગે છે કે માર્કેટ થોડુંક આવશે પણ રિયલનું માર્કેટ તો અત્યારે હાલ દબાયેલું છે એટલે સીવીડીનું માર્કેટ જે છે એ લાગે છે કે થોડું ઉછાળામાં આવે છે અને બીજું તો કંઈ મને એવું દેખાતું નથી કે આગળના શું રિસ્પોન્સ આવશે.
ભાવનગર જિલ્લામાં ખેતી બાદ મોટી સંખ્યામાં શ્રમિકો હીરા ઉદ્યોગ પર પોતાનું જીવનનિર્વાહ કરી રહ્યા છે. જોકે, દિવાળીની રજાઓ બાદ હીરા ઉદ્યોગમાં લાભ પંચમના શુભમુહૂર્તે સામાન્ય રીતે અગિયારસથી કામકાજ શરૂ થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે મંદીનો પ્રભાવ યથાવત્ જોવા મળી રહ્યો છે. હાલમાં હીરા બજારોમાં સુસ્તીનું વાતાવરણ છે. દિવાળી બાદ જે કારખાનાઓ અને હીરા ઓફિસો શરૂ થઈ જવી જોઈએ, તેઓએ હજી સુધી મુહૂર્ત પણ કર્યા નથી. ભારે મંદીને કારણે આ યુનિટો હજુ સંપૂર્ણ રીતે કાર્યરત થયા નથી. હાલમાં માત્ર 10થી 20 ટકા હીરા ઓફિસો અને જિલ્લામાં 30થી 35 ટકા હીરાના કારખાનાઓ જ ખુલ્યા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે હીરા ઉદ્યોગ પર મંદીનું ગ્રહણ હજુ પણ યથાવત્ છે. હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ યથાવત્દિવાળી તહેવાર બાદ સામાન્ય રીતે અગિયારસના શુભમુહૂર્તે હીરા ઉદ્યોગ ફરીથી રાબેતા મુજબ કાર્યરત થતો હોય છે, પરંતુ આ વર્ષે ભાવનગર જિલ્લાના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ યથાવત્ જોવા મળી રહ્યો છે. શહેરમાં આવેલી અંદાજે 3થી 4 હજાર હીરાની ઓફિસો અને કારખાનાઓમાં લગભગ 1.5થી 2 લાખ જેટલા લોકો રોજગાર મેળવે છે, છતાં હાલ મોટાભાગના યુનિટો બંધ છે અને બજારો શરૂ થઈ નથી. છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ અને અમેરિકાના ટેરિફના પ્રભાવને કારણે ઉદ્યોગ પર ભારે અસર પડી છે. દિવાળી બાદ હીરા બજારોમાં ફરી ચહલપહલ જોવા મળવાની અપેક્ષા હતી, પરંતુ હાલ સુધી કોઈ ખાસ એધાણ દેખાતા નથી. હું 50%ના સ્ટાફથી શરૂ કરી શકીશ: મેન્યુફેક્ચરઆ અંગે હીરાના મેન્યુફેક્ચર ભરત ભાયાણીએ જણાવ્યું છે કે માર્કેટમાં એવું છે કે છેલ્લા ત્રણ વર્ષથી પહેલા રશિયા યુક્રેન યુદ્ધ પછી ઇઝરાયેલવાળું યુદ્ધ શરૂ થયું. એમાંથી માર્કેટ થોડું ઉગરતું અને બહાર આવતું હતું તથા અમેરિકાવાળાએ ટેરીફવાળું શરૂ કર્યું એના કારણે માર્કેટ સાવ ઊભું રહી ગયું છે. હું પણ મેન્યુફેક્ચર છું. મેં પોતે મારા યુનિટ હજુ શરૂ કર્યા નથી. મારો પ્લાન એવો છે કે હું 50%ના સ્ટાફથી શરૂ કરી શકીશ. દિવાળી પછી એવું મારું આયોજન છે પૂરેપૂરી રોજગારી આપવાની અમે મહેનત કરીએ છીએ પણ માર્કેટમાંથી કોઈ પણ પ્રકારનો સપોર્ટ થતો નથી. પાંચમે-અગિયારસે મુહૂર્ત થતા હોય છે તે હજુ થયા નથી: વેપારીહીરાના વેપારી સતિષભાઈ માંડાણીએ જણાવ્યું કે હું છેલ્લા ઘણા વર્ષોથી એટલે કે 2003થી હીરા વ્યવસાય સાથે સંકળાયેલો છું એમાં છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં રશિયા-યુક્રેન યુદ્ધ થયું એ પછી સતત ધીમે ધીમે મંદીનો માહોલ છે અને અત્યારે જે દિવાળી પછી વેકેશન ખુલે અને પાંચમે અને અગિયારસે મુહૂર્ત થતા હોય છે તે મુહૂર્ત હજુ થયા નથી. ‘ઓફિસમાં 30થી 35 લોકોનો સ્ટાફ હતો, અમે બધાને છૂટા કર્યા’વધુમાં તેમણે જણાવ્યું કે મારે ઓફિસમાં 30થી 35 લોકોનો સ્ટાફ હતો. અત્યારે અમે બધાને છૂટા કર્યા છે. અમારે પણ તે લોકોને રોજી રોટી આપવી છે પણ કઈ રીતે આપવી. રોજને રોજ નુકસાની જતી હોવાથી કેટલીક નુકસાની સહન કરવી અને અત્યારે પણ મારે જે 30થી 35 લોકોનો સ્ટાફ હતો તે મારે બેસાડવો છે પણ હું બેસાડી શકું એવી પોઝિશનમાં નથી. ‘ડાયમંડની પોઝિશન બહુ એટલે બહુ ભયંકર ખરાબ છે’એવું લાગે છે કે ઓફિસમાં ચારથી પાંચ વ્યક્તિને સાચવી શકીશું. પણ જે સાચવવા છે એ એટલે સાચવવા છે કે થોડું કામ ચાલુ થાય પણ તોય પણ નફાનું તો એક બાજુ રહ્યું, નુકસાની કરીને પણ એમને સાચવવાના છે. અત્યારે ડાયમંડની પોઝિશન બહુ એટલે બહુ ભયંકર ખરાબ છે. હીરામાં છેલ્લા બેથી ત્રણ વર્ષથી મંદીનો માહોલ: ઘનશ્યામ ગોરસીયાઆ અંગે ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસીયાએ જણાવ્યું કે હીરામાં છેલ્લા બેથી ત્રણ વર્ષથી મંદીનો માહોલ છે. એના હિસાબે દિવાળી પછી પાંચમ અને અગિયારશે મુહૂર્ત થઈ બજારો અનેં ઓફિસો કારખાના રાબેતા મુજબ થવી જોઈ તે હજુ શરૂ થયા નથી. કારણકે એમાં ટેરિફ અને રશિયા-યુક્રેન યુદ્ધની અસર બજારો પર જોવા મળી રહી છે. આજે પૂનમ પછીના પણ બેથી ત્રણ દિવસ થઈ ગયા પછી પણ હજુ 10% ઓફિસો કાર્યરત થઈ છે અને જિલ્લામાં બેથી ત્રણ હજાર હીરાના કારખાનાઓ છે. એમાંથી 30થી 35% કારખાનાઓ જ શરૂ થયા હશે.
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂત સમન્વય સમિતિના સહયોગથી ખેડૂતોને સંમતિ એવોર્ડ એનાયત કરાતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂત સમન્વય સમિતિ દ્વારા અંદાજે 450 જેટલા ખેડૂતો અને વિધવા બહેનોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવી સંમતિ એવોર્ડ સ્વીકારવા માટે સમજાવવામાં આવ્યા હતા. જેના અનુસંધાને આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંમતિ પ્રક્રિયા યોજાઈ હતી,જેમાં મોટા પ્રમાણમાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, કલેકટર ગૌરાંગ મકવાણા અને પાર્થ જયસવાલ દ્વારા ખેડૂતોના પ્રશ્નો સાંભળી યોગ્ય વળતર મળવા માટે પ્રયત્નો હાથ ધરાયા હતા. આ અવસરે ખેડૂત સમન્વય સમિતિના હિરેન ભટ્ટ સહિત ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગરના થાનમાં ડ્રોનથી ભૂમાફિયાઓની તપાસ:ગેરકાયદેસર પ્રવૃત્તિના ઠેકાણા શોધવા પોલીસની પહેલ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે થાન પોલીસે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. આ એક નવી પહેલ છે, જેમાં ગેરકાયદેસર ઠેકાણાઓ શોધવા માટે ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આકાશમાંથી નજર રાખીને ગેરકાયદેસર જમીનના કબજા અને તેની હેરાફેરી પર દેખરેખ રાખવામાં આવી રહી છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ અસામાજિક તત્વોની ગતિવિધિઓ પર નજર રાખવાનો છે. આગામી દિવસોમાં થાન પોલીસ દ્વારા અસામાજિક શખ્સોની માહિતી એકત્ર કરીને તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવાનો પોલીસનો પ્રયાસ છે.
અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશનમાં સ્ટાફ નર્સની નોકરી અપાવવાના બહાને ₹14.90 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. એક યુવતીના પિતાએ ચાર આરોપીઓ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરાવ્યો છે. રાજુલા શહેરમાં રહેતા બાલુભાઈ માલજીભાઈ ગોહિલે ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની દીકરીને સ્ટાફ નર્સની નોકરી અપાવવાની લાલચ આપવામાં આવી હતી. આરોપીઓએ બાલુભાઈ પાસેથી આંગડિયા મારફતે ₹14,90,000 મેળવ્યા હતા અને તેમની દીકરીના મૂળ દસ્તાવેજો પણ લઈ લીધા હતા. પૈસા અને દસ્તાવેજો લીધા પછી પણ આરોપીઓએ નોકરી અપાવી ન હતી. વાયદાઓ આપીને છેવટે નોકરી ન આપતા, આ મામલે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ગુનામાં અશોક મકવાણા (કાટીકડા, મહુવા), શૈલેષ વિનુભાઈ શિયાળ (દાઠા), શક્તિસિંહ સરવૈયા (દાઠા) અને વિશાલ સહિત ચાર ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રાજુલા પી.આઈ. એ.ડી. ચાવડા આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે અને આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં યુવાન પર લોખંડના પાઇપથી હુમલો:પૈસાની લેતીદેતી મામલે માથું ફોડ્યું, ત્રણ સામે ફરિયાદ
જામનગરના ધરાર નગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો છે. પૈસાની લેતીદેતીના મામલે થયેલા આ હુમલામાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઘટનામાં ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ડ્રાઇવિંગનું કામ કરતા 33 વર્ષીય યાસીન સિદ્દીકભાઈ ગંઢાર નામના યુવાને ઇન્દ્રિષ આલા, મોઇન આલા અને રાજા આલા નામના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, યાસીનના માથાના ભાગે લોખંડનો પાઇપ ફટકારી માથું ફોડી નાખવામાં આવ્યું હતું. ઉપરાંત, પગમાં પણ પાઇપના પ્રહારથી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત યાસીનને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, યાસીન આરોપીના પરિચિત સમીર પાસેથી રૂ. 22,000 માંગતો હતો. આ રકમની ઉઘરાણી કરવા જતાં ત્રણેય આરોપીઓએ તેને માર માર્યો હતો. આરોપીઓએ યાસીનને ફરીથી ઉઘરાણી કરવા આવશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને હાલ ત્રણેય આરોપીઓને શોધી રહી છે.
કરમસદ-આણંદ મહાનગરપાલિકા બન્યે 10 મહિના ઉપરાંતનો સમય વીતી ગયો છે. તેમ છતાં શહેરમાં આવેલ તુલસી ગરનાળાની આસપાસના વિસ્તારો વિકાસથી વંચિત જોવા મળી રહ્યાં છે. આ વિસ્તારમાં બિસ્માર રોડ-રસ્તાં, ઉભરાતી ગટરો, ઠેર-ઠેર ગંદકી, તેમજ પીવાના પાણીની અછત જેવી પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. આ અંગે સ્થાનિકો દ્વારા અનેકોવાર મહાનગરપાલિકા કચેરીમાં રજુઆતો કરવામાં આવી છે. પરંતુ, સમસ્યાનો હલ ન થતાં, આજરોજ સામાજિક કાર્યકર હર્ષિલભાઈ દવે ની આગેવાની હેઠળ સ્થાનિક આગેવાનો હાથમાં મીણબત્તી લઈને મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યાં હતાં અને કમિશ્નરને આવેદનપત્ર આપી, વહેલીતકે વિસ્તારની તમામ સમસ્યાનો હલ લાવવા માંગ ઉચ્ચારી છે. જો વહેલીતકે સમસ્યાનો હલ નહીં થાય તો આ મહિનાના અંતમાં આણંદ ખાતે યોજાનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમમાં જઈને ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ...તો વડાપ્રધાનના કાર્યક્રમમાં જઈને વિરોધ કરીશું; હર્ષિલ દવેઆ અંગે સામાજિક આગેવાન હર્ષિલભાઈ દવે જણાવે છે કે, તુલસી ગરનાળાની આસપાસ આવેલ 25 થી 30 જેટલી સોસાયટીઓ છેલ્લાં ઘણાં સમયથી વિકાસથી વંચિત છે. જેથી આજે અમે અમારા વિસ્તારનો વિકાસ શોધવા માટે મીણબત્તી લઈને કરમસદ-આણંદ મહાનગરપાલિકા કચેરીએ આવ્યાં હતાં. કમિશ્નરે અમને ટૂંક સમયમાં કામ પતાવવાની હૈયાધારણા આપી છે. પરંતુ, જો ટૂંક સમયમાં કામ નહીં પતે તો અમે વડાપ્રધાનના કાર્યક્રમમાં જઈને વિરોધ કરીશું. કમિશ્નરે વહેલીતકે સમસ્યાનો હલ લાવવા ખાત્રી આપીકરમસદ-આણંદ મહાનગરપાલિકાના કમિશ્નર મિલિંદ બાપના એ ગંદકી તેમજ પીવાના પાણીની સમસ્યાનો હલ તુરંત જ લાવી આપવાની ખાત્રી આપી છે. જોકે, ગટર તેમજ રોડ-રસ્તાની સમસ્યા થોડા મહિનામાં ઉકેલાની બાંહેધરી આપી છે. સ્થાનિકોની 7 રજુઆતો
પૂર્વ કચ્છના મહાબંદર ધરાવતા કંડલા-ગાંધીધામ હાઇવે પર આજે ફરી એક વખત વાહન વ્યવહાર ખોરવાયો છે. કંડલાના હનુમાન મંદિરથી જૂના નકટી પુલ સુધી ચાલતા ડામર રોડના કામને કારણે માર્ગ એકતરફી બન્યો છે, જેના લીધે 4થી 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો છે. ગાંધીધામથી કંડલા આવતા વાહનો રોંગ સાઈડમાં ઘૂસી જતા ટ્રાફિકની સમસ્યા વધુ વકરી છે. હાલ કંડલા ટ્રાફિક પોલીસ અને એસઆરડીના જવાનો દ્વારા ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિકોના મતે, યોગ્ય દિશા સૂચક બોર્ડના અભાવે વાહનો આવકના માર્ગે પણ ઘૂસી આવે છે, જેના કારણે સામસામે વાહનો આવી જવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. આ સમસ્યાના નિવારણ માટે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે તે જરૂરી છે. કંડલાના સ્થાનિક ચેતન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી જૂના નકટી પુલ પાસે ચારથી પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. આજે સવારના 10 વાગ્યાથી બંને તરફના માર્ગે વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. જૂના નકટી પુલના નવ નિર્માણના કારણે માર્ગ ઉપર મોટા ખાડા ખોદવામાં આવ્યા છે, જેને લઈ એકતરફી વાહન વ્યવહાર પસાર થઈ રહ્યો છે. જોકે, યોગ્ય દિશા સૂચનના અભાવે વાહનો સામસામે આવી જાય છે અને ટ્રાફિક સમસ્યા ઉદભવે છે. ચેતન મહેશ્વરીએ સૂચવ્યું કે, આ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે વાહનોને સિંગલ માર્ગ પરથી એક બાદ એક જથ્થામાં પસાર કરવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત, માર્ગ નિર્માણ કાર્ય સ્થળે યોગ્ય દિશા સૂચક બોર્ડ પણ લગાવવાની તાતી જરૂર છે. આ બાબતે કંડલા ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હાલ હનુમાન મંદિરથી જૂના નકટી પુલ ઉપર ડામર રોડનું કામ ચાલે છે, જેના કારણે ડબલ માર્ગ સિંગલ માર્ગમાં ફેરવાયો છે. તેમણે ઉમેર્યું કે, વાહન ચાલકો રોંગ સાઈડમાં ઘૂસી આવવાથી આ સમસ્યા સર્જાતી હોય છે. ટ્રક ચાલકોને વારંવાર સૂચના અને રોકવામાં આવતા હોવા છતાં તેઓ ઉતાવળ કરતા હોવાથી વાહન વ્યવહાર પ્રભાવિત થાય છે. હાલ વાહન નિયંત્રણની કામગીરી ચાલુ છે અને વાહનો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે.
પારડી તાલુકાના ડુમલાવ ગામે ફરી એકવાર દીપડાના આતંકની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે ડુમલાવના દેસાઈ ફળિયામાં કરશન છગનભાઈ પટેલના ઘરે દીપડો ઘૂસી ગયો હતો અને એક કૂતરાનો શિકાર કર્યો હતો. આ ઘટનાથી ગામ અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ ગામના સરપંચ પ્રકાશભાઈ પટેલે તાત્કાલિક વન વિભાગને માહિતી આપી હતી. વન વિભાગના અધિકારીઓ અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દીપડાને પકડવા માટે તાત્કાલિક પાંજરું ગોઠવવામાં આવ્યું છે. વન અધિકારીઓએ ગામલોકોને રાત્રિના સમયે એકલા ઘરની બહાર ન નીકળવા અને પશુઓને સુરક્ષિત જગ્યાએ બાંધવા સૂચના આપી છે. ડુમલાવ ગામમાં દીપડાનો ઉપદ્રવ નવો નથી. અગાઉ પણ ગામમાંથી બે દીપડા પાંજરામાં પુરાયા હતા. મળતી માહિતી મુજબ, ગામની આસપાસના જંગલ વિસ્તારમાં હજી પણ ચારથી પાંચ દીપડા ફરતા હોવાની ચર્ચા છે. વન વિભાગ દ્વારા અગાઉ પણ અનેકવાર પાંજરાં મુકાયા હોવા છતાં દીપડાઓ તેમાં પકડાતા નથી. ગામના વડીલો જણાવે છે કે દીપડાઓ ઘણીવાર રાત્રે ફળિયામાં અથવા ખેતર નજીક દેખાય છે. ગામમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે અને ગ્રામજનો દ્વારા દીપડાને જલ્દી પાંજરે પૂરવાની માગ ઉઠી રહી છે.
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં મિત્ર એ જ મિત્ર સાથે કરોડોની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મિત્રતાનો લાભ લઈને એક શખ્સે પોતાના મિત્રને સોપારી/તમાકુના ધંધામાં ઊંચા નફાની લાલચ આપીને તેમની પાસેથી જમીન વેચીને આવેલા 1,24,70,000 કરોડની વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ માંગરોળ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ છેતરપિંડીમાં આરોપીના પિતાએ પણ ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. શીફા હોસ્પિટલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકર કરતા હનીફભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓ છેલ્લા 5 વર્ષથી માંગરોળ ખાતે આઈ.જે. સેલ્સ એજન્સી ધરાવતા ઈરફાન ઈબ્રાહીમભાઈ જેઠવાને ઓળખે છે. ઈરફાન સોપારી અને તમાકુનો જથ્થાબંધ મોટો વેપાર કરે છે. વર્ષ 2022માં મિત્રતાના સંબંધોને પગલે આરોપી ઈરફાને હનીફભાઈને તેના સોપારીના બિઝનેસમાં રોકાણ કરવાની અને દર મહિને સારો એવો નફો આપવાની લાલચ આપી હતી. નાળિયેરીનો બગીચો વેચી 43 લાખ અને 9.70 લાખ આપ્યાઆરોપી ઈરફાન પર ભરોસો આવતા, હનીફભાઈએ જુદા જુદા તબક્કામાં કુલ 1,24,70,000 નું રોકાણ કર્યું હતું. ફરિયાદીએ માંગરોળ માર્કેટિંગ યાર્ડ સામે આવેલો પોતાનો નાળિયેરીનો બગીચો વેચી દીધો. આ જમીન વેચાણના 11 સપ્ટેમ્બર, 2022 સુધીમાં 43,00,000 આવતા, તે જ દિવસે આ રકમ ઈરફાનને આપી દીધી હતી.ત્યારબાદ તારીખ 7 નવેમ્બર, 2022 અને 08 નવેમ્બર 2022ના રોજ NEFTથી આઈ.જે. સેલ્સ એજન્સીના ખાતામાં 9,70,000 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. આરોપીએ વધુ નફાની લાલચ આપી પોણા કરોડનું રોકાણ કરવાનું કહેતા, હનીફભાઈએ પોતાની માર્કેટિંગ યાર્ડ સામે આવેલી અન્ય જમીન પણ વેચી દીધી. તેના વેચાણના 72,00,000 ગત 16 માર્ચ, 2025ના રોજ ઈરફાનને રોકડા આપ્યા હતા. આમ કુલ મળીને ₹ 1,24,70,000 નું રોકાણ કર્યું હોવા છતાં આરોપી ઈરફાને ફરિયાદીને નફામાં કોઈ ભાગ આપ્યો ન હતો અને રૂપિયા પાછા માંગતા 'રૂપિયા બ્લોક થઈ ગયા છે' તેમ કહીને તારીખ પર તારીખ આપતો રહ્યો હતો. આરોપી પિતા દ્વારા ધમકી અને માર મારવાનો આક્ષેપફરિયાદી હનીફભાઈ જ્યારે છેલ્લા છ મહિનાથી પોતાના રૂપિયાની માંગણી કરતા હતા, ત્યારે બે-અઢી મહિના પહેલા તેઓ માંગરોળ જેતખમ રોડ પર જતા હતા. ત્યાં ઈરફાનના પિતા ઈબ્રાહીમભાઈ જેઠવા તેમને રસ્તામાં મળ્યા હતા. હનીફભાઈએ ઈબ્રાહીમભાઈને તેમના દીકરાએ રૂપિયા પરત ન આપ્યાની વાત કરી હતી. ઢીકાપાટુનો માર પણ માર્યોઆ સાંભળીને ઈબ્રાહીમભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને હનીફભાઈને જેમ ફાવે તેમ ગાળો આપી, શરીરે ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. ઈબ્રાહીમભાઈએ ધમકી આપી હતી કે, હવે પછી તું ક્યારેય મારા દીકરા ઈરફાન પાસે રૂપિયાની માંગણી કરતો નહીં અને તારા રૂપિયા આપવા નથી, તારે જે કરવું હોય તે કરી લેજે. જાનથી મારી નાખીશ તેમ કહીને જતા રહ્યા હતા.ફરિયાદીએ જણાવ્યું હતું કે, રોકડા રૂપિયા આપ્યા ત્યારે તેમના મિત્રો રિઝવાનભાઈ બેરા, અફજલભાઈ ઢેરા, સુફિયાન ઘમેરીયા તેમજ તેમના પત્ની શીતલબેન અને ભાઈ ફારૂકભાઈ બેરા હાજર હતા. માંગરોળ પોલીસે આરોપી ઈરફાન ઈબ્રાહીમભાઈ જેઠવા અને ઈબ્રાહીમભાઈ જેઠવા વિરુદ્ધ ઠગાઈ, વિશ્વાસઘાત અને ધમકોની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે..
કોંગ્રેસની 'ખેડૂત આક્રોશ યાત્રા' સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશી છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોના દેવા માફ કરવા અને તમામ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની કાયદેસર ગેરંટી આપવાની માંગ સાથે સરકાર સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસે વચન આપ્યું છે કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે અને MSPની કાયદેસર ગેરંટી આપવામાં આવશે. સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા સુરેન્દ્રનગર જિલ્લાના નોલી, દેવગઢ, સુદામડા અને સાયલા જેવા ગામોમાંથી પસાર થઈ હતી. યાત્રા દરમિયાન, કોંગ્રેસના નેતાઓએ રાજ્ય અને કેન્દ્ર સરકારો સમક્ષ ખેડૂતોના બાકી દેવા સંપૂર્ણપણે માફ કરવાની અને દરેક પાકની MSP પર ખરીદીની કાયદેસર ખાતરી આપવાની અપીલ કરી હતી. આ યાત્રામાં ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકી, લાલજીભાઈ દેસાઈ, ગોપાલભાઈ મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકી, કલ્પનાબેન ધોરીયા, ચેતનભાઈ ખાચર અને ગુણવંતભાઈ પંડ્યા સહિત અનેક અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો અને મોટી સંખ્યામાં ખેડૂતો પણ આ રેલીમાં જોડાયા હતા. નેતાઓએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી કુદરતી આફતો અને પાકના ઓછા ભાવને કારણે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવી સ્થિતિમાં ખેડૂતોને ન્યાય આપવાની જવાબદારી સરકારની છે. આ યાત્રાને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. કોંગ્રેસે જણાવ્યું હતું કે ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે સરકારને જાગૃત કરવા માટે રાજ્યભરમાં આવી વધુ યાત્રાઓનું આયોજન કરવામાં આવશે.
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો આ શિયાળાની ઋતુ માટે પોતાના વિમાનોમાં નવો ઉમેરો કરવા જઈ રહી છે. એરલાઇનએ જાહેરાત કરી છે કે, તે કોરેન્ડન એરલાઇન્સ પાસેથી બોઇંગ 737 વિમાનો વેટ-લીઝ પર લેશે, જેથી તેની અસર અમદાવાદ એરપોર્ટ પર પણ થશે. દિલ્હીમાં આ વિમાન કાર્યરત રહેશે અને અમદાવાદ સહિતના શહેરોને સેવા પૂરી પાડશે. આ વિમાનોની કામગીરી 22 નવેમ્બર, 2025થી શરૂ થવાની શક્યતા છે. ઇન્ડિગોનું આ નવું લિઝિંગ કરાર ખાસ કરીને શિયાળાની વધતી મુસાફરીની માગને પહોંચી વળવા માટે કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિતના શહેરને વધુ સુવિધા મળશેઆ લીઝ પર લેવામાં આવેલા 737 વિમાનો દિલ્હી એરપોર્ટ પરથી કાર્યરત રહેશે અને રાંચી, અમદાવાદ, નાગપુર સહિતના અનેક શહેરોને સેવા આપશે. ખાસ કરીને ઇન્ડિગોનું આ પગલું સ્પાઇસજેટ દ્વારા અગાઉ સીઝ પર લીધેલા વિમાનો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. શિયાળામાં મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાની લઈ કરારઅગાઉ 6 નવેમ્બરના રોજ બજેટ એરલાઇન સ્પાઈસજેટએ શિયાળાની મુસાફરીની મોસમ પહેલા તેના કાફલાને વધુ મજબૂત બનાવવા માટે લીઝ પર પાંચ નવા એરક્રાફ્ટનો ઉમેરો કર્યો હતો. આ સાથે કુલ નવા એરક્રાફટની સંખ્યા હવે 10 થઈ ગઈ હતી. ત્યારે સ્પાઈસજેટ બાદ ઈન્ડિગો એરલાઈન્સએ પણ આ નિર્ણય લીધો છે.
અમદાવાદના ભાડજ સ્થિત હરે કૃષ્ણ મંદિર દ્વારા યુવાનોમાં સકારાત્મક સામાજિક પરિવર્તન લાવવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. મંદિર 11 અને 12 નવેમ્બર, 2025ના રોજ “ક્રિએટર્સ સંગ” ઇન્ફ્લુએન્સર્સ મીટનું આયોજન કરશે. આ બે દિવસીય કાર્યક્રમમાં દેશભરમાંથી 50થી વધુ પ્રભાવશાળી ડિજિટલ ક્રિએટર્સ, આર્ટિસ્ટ, મ્યુઝિશિયન અને વિચારકો એક મંચ પર આવશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જાગૃત પ્રભાવ અને સામાજિક પરિવર્તનની શક્તિ પર ચર્ચા કરવાનો છે. “ક્રિએટર્સ સંગ” વ્યક્તિગત જવાબદારી, નૈતિકતા અને સોશિયલ મીડિયા દ્વારા ઉચ્ચ મૂલ્યોને કેવી રીતે પ્રોત્સાહન આપી શકાય તેવા મહત્વપૂર્ણ સંવાદને પ્રોત્સાહન આપશે. ભાગ લેનારાઓ માટે પ્રેરણાત્મક સત્રો, ભારતની પ્રાચીન આધ્યાત્મિક પરંપરા સાથે જોડાયેલ સર્જનાત્મક ઉર્જાને દિશા આપવા પર ચર્ચા, ભગવદ ગીતા પર આધારિત વર્કશોપ અને મધવાસ ઇકો વિલેજમાં પ્રકૃતિ અનુભવ જેવા કાર્યક્રમો તૈયાર કરાયા છે. આજના યુગમાં ડિજિટલ કન્ટેન્ટ યુવાનોના વિચારોને આકાર આપે છે. આ સંદર્ભમાં, “ક્રિએટર્સ સંગ” એવા અવાજોને મજબૂત બનાવશે જે મનને ઉન્નત કરે અને હૃદયને પ્રેરણા આપે. કાર્યક્રમમાં વૃક્ષારોપણ અને પર્યાવરણ-સ્નેહી પ્રવૃત્તિઓ જેવી સામાજિક સેવા સાથે જોડાવાની તક પણ મળશે. આ ઉપરાંત, ઇન્ટરફેથ સંવાદ, વ્યક્તિગત આત્મચિંતન અને એકતા, દયા અને રાષ્ટ્રભાવના વધારતા અનુભવોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હરે કૃષ્ણ મંદિરનું નેતૃત્વ માને છે કે આ પ્રતિષ્ઠિત કન્ટેન્ટ ક્રિએટર્સનું એકત્ર આવવું મંદિરની સીમાઓ બહાર પણ સકારાત્મક અસર કરશે. આધ્યાત્મિક મૂલ્યો અને નવીન ડિજિટલ પહોંચને જોડીને, “ક્રિએટર્સ સંગ” ભારતીય સમાજમાં જવાબદારી, એકતા અને ઉજળા ભવિષ્યની ભાવનાને વધુ મજબૂત બનાવશે.
અમદાવાદના ઓઢવ રિંગ રોડ પર 9 નવેમ્બરની મોડીરાતે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મોપેડ લઈને જઈ રહેલા બે ભાઈને પૂરપાટ ઝડપે આવતા ડમ્પરચાલકે ટક્કર મારી હતી. ડમ્પરની ટક્કર વાગતા બંને જમીન પર પટકાયા હતા, જેમાં મોપેડચાલક યુવકને માથામાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું છે. અન્ય મોપેડ સવાર યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. મોપેડને ટક્કર માર્યા બાદ ડમ્પરચાલક ફરારઓઢવમાં રહેતો ગોવિંદ પરમાર નામનો યુવક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત મોડીરાતે ગોવિંદભાઈ તેમના પિતરાઈ ભાઈ શૈલેષ સાથે એક્સેસ પર કઠવાડા ચોકડીથી નીકળી ઘર જતા હતા. ગોવિંદભાઇએ એક્સેસ ચલાવી રહ્યા હતા, ત્યારે ઓઢવ રિંગ રોડ પાસે પહોંચતા ડમ્પરચાલકે એક્સેસને પૂરઝડપે ટક્કર મારી હતી. અકસ્માત કરીને ડમ્પરચાલક ડમ્પર લઈને સિંગરવા તરફ નાસી ગયો હતો. મોપેડ ચાલકને ગંભીર ઈજા થતાં સ્થળે જ મોતઅકસ્માતમાં ટક્કર વાગતા ગોવિંદભાઈ અને શૈલેષ નીચે પટકાયા હતા. અકસ્માતમાં ગોવિંદભાઈને શરીરના ભાગે અને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી સ્થળ પર જ મોત થયું હતુ. જ્યારે શૈલેષને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતક ગોવિંદના પરિવારમાં પત્ની અને 10 વર્ષનું બાળક છે. અકસ્માતમાં 10 વર્ષના પુત્રએ પોતાના પિતા ગુમાવ્યા છે. આ મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ગારમેન્ટ ટેક્સટાઇલ એક્સપો (GTE) 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્સપોમાં કાપડ, ગારમેન્ટ, ડિઝાઇનિંગ, ટેલરિંગ, તેમજ કાપડ પર થતા વિવિધ ભરતગુંથણ, પ્રિન્ટિંગ, ઝરદોશી વર્ક, ગાંઠ વર્ક, સાદું ભરતકામ, ટિકી વર્ક, અઝરખ વર્ક અને હસ્તકલા જેવી કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ઉપરાંત, રેશમ જેવા કાપડના ઉત્પાદન માટેના મશીન, રોબોટિક મશીન અને ઓટોમેશન પદ્ધતિના આધુનિક ગારમેન્ટ પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. આ એક્સપોનો મુખ્ય ઉદ્દેશ્ય કાપડ ઉદ્યોગમાં નવીનતમ ટેકનોલોજી અને ડિઝાઇન્સનું પ્રદર્શન કરવાનો હતો. રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ઇન્ટરનેશનલ (RVVM) પણ આ એક્સપોમાં ઉપસ્થિત રહ્યું હતું. મંડળે મોટા પાયે રોજગાર આપતા ગારમેન્ટ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સેક્ટર વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે મહિલા ઉદ્યોગકારો, ગ્રામ્ય વિસ્તારના ગૃહ ઉદ્યોગો અને રમકડા ઉદ્યોગની બનાવટના સ્ટોલનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ એક્સપોમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, જમ્મુ કાશ્મીર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને દિલ્હી સહિત દેશ-વિદેશની ગારમેન્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલી મશીનરી ઉત્પાદક કંપનીઓએ ભાગ લીધો હતો. સહભાગીઓને પ્રોત્સાહન રૂપે પુસ્તકો ભેટ આપવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારના નિયમો અને કાયદાની ઉપરવટ જઈને કલેક્ટર ઓફિસમાં NA(નોન એગ્રિકલ્ચર)ની ફાઇલો દબાવી રાખવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા આજે વડોદરા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને હાલમાં 200 જેટલી NAની ફાઇલો નિકાલ વગર પડી છે. જેને લઈનેકાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગુજરાત ખેડૂત હિતરક્ષક સમિતિના મહામંત્રી જીતુભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, અમે આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગણી કરી છે કે, વડોદરા કલેક્ટર ઓફિસમાં એનએ ની 200 જેટલી ફાઈલો લાંબા સમયથી પન્ડિંગ છે, એનો તુરંત નિર્ણય કરવામાં આવે, જે કેસમાં ખેડૂતને એનએ કરાવવાની જરૂર નથી, એમાં પણ એનએ કરાવવાની ફરજ પાડવામાં આવે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,કાયદામાં એવી જોગવાઈ છે કે, કોર્પોરેશન અને વુડાની હદથી બહાર જે ગામ હોય એમાં પણ એનએ કોઈપણ પ્રકારનું એને કરાવવાનું નથી. તેમ છતાં પણ ખેડૂતોને કહેવામાં આવે છે કે તમારે એને કરાવવું પડશે. તેઓએ ઉમેર્યું હતું કે, અમને એવી પણ ફરિયાદ મળી હતી કે, કલેક્ટર ફાઇલ મંજૂર કરી દે છે, પછી પણ અરજદારને એની જાણ કરવામાં આવતી નથી, જેને લીધે 200 જેટલી ફાઈલો તમારે ત્યાં પેન્ડિંગ છે. કલેક્ટર સાહેબે કહ્યું છે કે, અમે એની તપાસ કરીશું અને હું બનતા બધા જ પ્રયત્ન કરીશ. અને અમને આશા છે કે આ પ્રશ્નનું નિરાકરણ થઈ જશે.
અમદાવાદમાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર (SVVP) દ્વારા જીવનસાથી પસંદગી સંમેલન 'સ્નેહ બંધન - 2025' સફળતાપૂર્વક યોજાયું. દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે આયોજિત આ સંમેલનમાં 850થી વધુ લગ્નોત્સુક યુવાન-યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે SVVP મેટ્રિમોની અને SVVP બિઝનેસ ડિરેક્ટરીનું પણ વિમોચન કરવામાં આવ્યું. SVVP એ ગુજરાત મૂળના વૈષ્ણવ વણિક પરિવારો માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરતું એક મહાસંગઠન છે. કિરીટભાઈ શાહ, દક્ષેશ શાહ અને ટીમ SVVP ના સબળ નેતૃત્વ હેઠળ તેની રચના કરવામાં આવી છે. SVVP અમદાવાદના પ્રમુખ શ્રી યોગેશ પરીખ અને હિરેન શાહના નેતૃત્વમાં ટીમ SVVP ની મહેનતથી આ કાર્યક્રમ સફળ બન્યો. આ ભવ્ય કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ટાઉન પ્લાનિંગ કમિટીના અધ્યક્ષ પ્રીતેશ શાહ અને AMC સ્કૂલ બોર્ડના અધ્યક્ષ સુજય મહેતા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. SVVP શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને પરસ્પરની ઓળખ જેવી વિવિધ લોકઉપયોગી પ્રવૃત્તિઓ માટે કાર્યરત છે.
અમદાવાદ: અખિલ ભારતીય વૈષ્ણવ વૈરાગી પરિષદના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે પાટણના વાસુદેવભાઈ સાધુની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક અમદાવાદ ખાતે રામાનંદી ગુરુકુલમાં યોજાયેલી પરિષદની બેઠકમાં કરવામાં આવી હતી. આ બેઠક પ્રમુખ ચંદુભાઈ સાધુના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં મહાગુજરાત ચતુ:સંપ્રદાય વૈષ્ણવાચાર્ય સમાજ મધ્યસ્થ સંઘ અમદાવાદ અને વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુ, મહામંત્રી ગોપાલભાઈ વૈષ્ણવ, તેમજ સમગ્ર ટ્રસ્ટીગણ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વાસુદેવભાઈ સાધુ પાટણ ખાતે લીલીવાડી હોટલ ધરાવે છે. આ ઉપરાંત, રામાનંદી સાધુ સમાજના બનાસકાંઠા વિભાગના પ્રમુખ વાસુદેવભાઈ સાધુનું અયોધ્યા ખાતે ચાલી રહેલી રામકથામાં સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભુરિયા આશ્રમના મહામંડલેશ્વર ઘેવરદાસજી બાપુ, વઢિયાર વિભાગના નારસિંહભાઈ સાધુ અને સમાજના અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.
ગોધરા SOGએ બે વોન્ટેડ આરોપીને ઝડપ્યા:પશુ સંરક્ષણ અને પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા હતા
ગોધરા SOG પોલીસે પશુ સંરક્ષણ અધિનિયમ અને પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે. મુસ્તાક નિશાર અધીને ગોધરાની એમ.ઇ.ટી. સ્કૂલ પાસેથી અને અશોક બાબુભાઈ પટેલ (રાઠવા)ને હાલોલ તાલુકાના ચન્દ્રાપુરા ગામના બસ સ્ટેશન પાસેથી પકડવામાં આવ્યા હતા. SOG ગોધરાના એ.એસ.આઈ. શંકરસિંહ સજ્જનસિંહને મળેલી બાતમીના આધારે, પી.એસ.આઈ. બી.કે. ગોહિલ અને તેમની ટીમે મુસ્તાક નિશાર અધીને ઝડપી પાડ્યો હતો. તે ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ 5(1), 6(બી), 8(2), 8(4), 10, BNS-2023ની કલમ 325, તેમજ જી.પી. એક્ટની કલમ 119 મુજબ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો. તે ખંખારીયા પ્લોટ, ગોધરાનો રહેવાસી છે. અન્ય એક કાર્યવાહીમાં, પોલીસ કોન્સ્ટેબલ વિરેનકુમાર કિરણસિંહને મળેલી બાતમીના આધારે SOG ટીમે અશોક બાબુભાઈ પટેલ (રાઠવા)ને ઝડપી પાડ્યો હતો. તે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ કલમ 65(એ), 65(ઇ), 98(2), 81, 83 મુજબના ગુનામાં વોન્ટેડ હતો. ઝડપાયેલા બંને આરોપીઓને વધુ કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યા છે. આ કાર્યવાહી SOG ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
જૂનાગઢમાં રન ફોર યુનિટી રોડ શો યોજાયો:મુખ્યમંત્રીની હાજરીમાં શરબત વિતરણ કરાયું
જૂનાગઢના કાળવા ચોક ખાતે સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 'રન ફોર યુનિટી' રોડ શો દરમિયાન શરબત વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જૂનાગઢ પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજા, અન્ય મંત્રીમંડળના સભ્યો અને જૂનાગઢના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા અને પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી એસ. મેઘનાથી સહિત અનેક સેવાભાવી આગેવાનો હાજર રહ્યા હતા. અંધ કન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ દીકરીઓ પણ આ કાર્યક્રમમાં જોડાઈ હતી. પ્રભારી મંત્રી પ્રદ્યુમનભાઈ વાજાનું બહુમાન કરવામાં આવ્યું હતું. રોડ શોમાં પ્રસ્થાન કરનાર તમામ અધિકારીઓ, પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને પોલીસ સ્ટાફને સત્યમ સેવા યુવક મંડળ દ્વારા શરબત પીવડાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંધ કન્યા છાત્રાલયની એમ.એ.માં અભ્યાસ કરતી દિવ્યાંગ લાભાર્થી રેખા બોખાણીએ વક્તવ્ય આપ્યું હતું. બી.એડ.માં અભ્યાસ કરતી અંધ દીકરી વાળા દયાએ પણ આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.
શહેરના માધવપુરામાં એક યુવકે દિવાળી પર થયેલી ઝઘડાની અદાવત રાખીને અન્ય યુવકના શરીર પર આડેધડ છરીના ઘા ઝીંકીને લોહીલુહાણ કરી દીધો હતો. યુવક તેના મિત્રો સાથે ઉભો હતો ત્યારે આરોપી એકાએક તાનમાં આવી ગયો હતો અને છરીના ઘા ઝીંકવાના શરૂ કરી દીધા હતા. આરોપીની હેવાનીયત જોતા યુવકના મિત્રો ત્યાથી નાસી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.માધવપુરા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યોમાધવપુરા વિસ્તારમાં આવેલા નમસ્તે સર્કલ પાસે ઘોડાગાડીના ડહેલામાં રહેતા જયેશ ઘાનકાએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં વિજય દંતાણી વિરૂદ્ધ હત્યાની કોશિષની ફરિયાદ કરી છે. જયેશ સંયુક્ત પરિવારમાં રહે છે અને ઘી કાંટા ખાતે આવેલા કપડાની શોપમાં નોકરી કરે છે. ગઈકાલે રાતે નવ વાગ્યાની આસપાસ જયેશ તેના મિત્ર સાહિલ, સંતોષ, ક્રિષ્ના પાસે ઉભો ઉભો ઘોડાગાડીના ડહેલાની અંદર વાતચીત કરી રહ્યો હતો તે વખતે તેના પડોશમાં રહેતો વિજય આવ્યો હતો. વિજયે આવતાની સાથેજ જયેશને કહેવા લાગ્યો હતો કે, તું દિવાળીના તહેવાર વખતે મારા જોડે બોલાચાલી કરતો હતો, આજે હુ આવી ગયો છે, બોલ તારે મારી જોડે ઝઘડવુ છે તો આજે લડી લઈએ.વિજયની વાત સાંભળીને જયેશે તેને શાંતી વાત કરવા તેમજ ઘરે જતા રહેવાનું કહ્યુ હતું. જયેશે વિજયને એમ પણ કહ્યુ હતુકે મારે તારી જોડે કોઈ મગજ મારી કરવી નથી. આજે ઓછો માર્યો હોવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપીવિજય ગિન્નાયો હતો અને જયેશને ગાળો બોલવાની શરૂ કરી દીધી હતી.જયેશે વિજય ગાળો નહી બોલવા માટેનું કહેતા તે વધુ ઉશ્કેરાયો હતો અને તેની પાસે રહેલી છરી કાઢી હતી.જયેશ કઈ વિચારે તે પહેલા વિજયે તેના પેટ, છાતી, હાથ અને મોઢા પર છરીના આડેધડ ઘા ઝીંકવાના શરૂ કરી દીધા હતા. જયેશના કેટલાક મિત્રો નાસી ગયા હતા જ્યારે કેટલાક તેને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા. લોહીથી લથપથ થઈ ગયેલો જયેશ જમીન પર ઢળી પડ્યો હતો જ્યારે વિજય ત્યાથી નાસી ગયો હતો.વિજય જતા જતા ધમકી આપી હતીકે આજે તો તને બહુ ઓછો માર્યો છે,ફરીથી તુ મને જોવા મળીશ તો તને હુ જાનથી મારી નાખીશ.જયેશને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો જ્યા તેની હાલત નાજુક હતી. ઘટનાની જાણ માધવપુર પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વિજય વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
પ્રફુલ પટેલની સોશિયલ મીડિયા પોસ્ટથી વિવાદ:AICC સભ્યએ પ્રશાસક પર BJP માટે કામ કરવાનો આરોપ લગાવ્યો
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટને કારણે વિવાદ સર્જાયો છે. આ પોસ્ટમાં તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીતની પ્રશંસા કરી હતી, જેના પર AICC સભ્ય ગૌરવ પંડિયાએ પ્રશાસકની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા છે. તાજેતરમાં સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ ખાતે જિલ્લા પંચાયત, નગરપાલિકા અને ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. દાદરા નગર હવેલીમાં જિલ્લા પંચાયતની 18 બેઠકો ઉપર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. 3 બેઠકો માટે ફક્ત 6 ઉમેદવારોના ઉમેદવારી ફોમ મંજુર કરવામાં આવ્યા હતા. તમામ ઉમેદવારોએ સમાન ફોર્મ ભર્યા હોવા છતાં આટલા ઓછા ફોર્મ મંજૂર થવા પર સવાલો ઉઠ્યા હતા. પ્રશાસક પ્રફુલ પટેલે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મળેલી 'જબરજસ્ત જીત'ની પ્રશંસા કરી હતી અને ભાજપના વખાણ કર્યા હતા. આ પોસ્ટ બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. AICC સભ્ય ગૌરવ પંડિયાએ આ પોસ્ટ પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ કે પ્રશાસક કોઈ પક્ષ માટે કામ કરી શકતા નથી. તેમણે આરોપ લગાવ્યો કે પ્રશાસક નિષ્પક્ષ હોવાને બદલે BJP માટે કામ કરી રહ્યા છે. પંડિયાએ વધુમાં કહ્યું કે પ્રશાસકે લોકોના હિતની વાત કરવી જોઈએ અને પ્રજાના હક્ક અને અધિકારનું રક્ષણ કરવાની જવાબદારી રાષ્ટ્રપતિ, પ્રશાસક અને વહીવટદારની હોય છે. તેમણે દાવો કર્યો કે સંઘ પ્રદેશમાં આ જોવા મળતું નથી.
શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતા ઠગ દંપતીએ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઉંચી ઓળખાણ હોવાનું કહીને મકાન અને દુકાનનો સોદો કરીને 2.10 લાખ મેળવીને ખોટી રસીદો આપી હતી.જોકે પોલીસે થોડા દિવસ અગાઉ જ આરોપીની ધરપકડ કરી હતી પરંતુ આરોપીઓની ધરપકડ બાદ વધુ એક ફરિયાદ નોંધાઈ છે.આરોપીઓએ અગાઉ પણ 10 લોકો સાથે 21.80 લાખની છેતરપિંડી કરી હતી. મકાન અને દુકાન અપાવવાના નામે 2.10 લાખ રૂપિયા પડાવ્યાજમાલપુરમાં રહેતા આયેશાબીબી કુરેશી ઘરકામ કરે છે.આયેશાબીબી તેમની બે દીકરીઓ સાથે રહે છે.આયેશાબીબી તેમની મોટી દીકરી રેહાનાના ઘરે ગયા હતા ત્યારે જાણવા મળ્યું હતું કે તમારા જમાઈના નામની દુકાનમાં કામ કરતા અનવર અને તેની પત્ની શાહ ઓળખાણથી અંબર ટાવર પાસેના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં સરકારી મકાન અને દુકાન લઈ આપે છે.જેથી આયેશાબીબીએ બંનેનો સંપર્ક કર્યો હતો અને સ્કીમમાં મકાન અને દુકાન માટે 1,20,000 અને 60,000 આપ્યા હતા.એટલું જ નહીં તેમની દીકરીએ પણ દુકાન અને મકાન માટે ડિપોઝિટ પેટે પૈસા આપ્યા હતા.આમ કુલ 2.10 લાખ રૂપિયા આપ્યા હતાજેની સામે અનવર અને રસીદ પણ આપી હતી. માતાપિતા અંગે સંતાનોેન પૂછ્યું તો હાથપગ ભંગાવી નાખવાની ધમકી આપીઆયેશાબીબીએ મકાન કે દુકાન લેવા સંપર્ક કર્યો ત્યારે અનવર અને શાહીનાનો સંપર્ક પણ થઈ શકતો નહોતો અને તેમના ઘરે ગયા ત્યારે ઘરને પણ તાળું મારેલું હતું.આયેશાબીબીને જાણવા મળ્યું કે આ પતિ પત્નીએ અગાઉ અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે.અનવરના દીકરા અને દીકરીએ પણ આયેશાબીબીને કહ્યું હતું કે, મારા માતા પિતા વિશે પૂછશો તો ખોટા કેસમાં ફસાવી દઈશ અને હાથ પગ ભંગાવી દઈશ તેવી ધમકી આપી હતી જેથી આ આયેશાબીબીએ શાહીનાબાનું,અનવર,અયાન અને મિસ્બાહ વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઠગ દંપતીએ 10 લોકો પાસેથી રૂ. 21.80 લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યુંઠગ દંપતી વિરુદ્ધ બે મહિના અગાઉ પણ આ જ રીતે દુકાન અને મકાન આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો ગુનો નોંધાયો છે.વેજલપુર પોલીસે ગુનો નોંધી બે માસ બાદ આરોપી શાઇનબાનુ સીપાઇ અને તેના પતિ અનવર સીપાઇની ધરપકડ કરી હતી. આરોપીઓએ કુલ 10 લોકો પાસેથી રૂ. 21.80 લાખની છેતરપિંડી આચરી હોવાનું તપાસમાં સામે આવ્યુ હતું ત્યારે હવે વધુ એક ફરિયાદ થઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધાંધલપૂર ગામે રબારી સમાજ દ્વારા ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના વિકાસ, કુરિવાજો અને મહત્વના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સ્નેહ મિલનમાં સામાજિક પ્રશ્નો, શિક્ષણ, સમૂહ લગ્ન, વેપાર, રોજગાર અને યુવાઓના ભવિષ્ય જેવા મુદ્દાઓ પર ગહન વિચારણા થઈ હતી. સમાજ માટે કલ્યાણકારી નિર્ણયો લેવામાં આવ્યા હતા. ખાસ કરીને, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સોનાના આસમાને પહોંચેલા ભાવને ધ્યાનમાં રાખીને સમાજ સ્તરે યોગ્ય પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વડવાળા મંદિર દુધરેજધામના મહંત કનીરામ બાપુએ મહત્વના નિર્ણયોની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દીકરા-દીકરીના લગ્નના પૈસા લેતા લોકોએ સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ. આ ઉપરાંત, લગ્ન પ્રસંગમાં ડીજેના ખોટા ખર્ચા ટાળીને ગામમાં રહેતા ઢોલ અને શરણાઈ વગાડતા ગરીબ કલાકારોને મદદ કરવી જોઈએ. પાંચાળ પ્રદેશના આશરે 352 ગામના પંચાળા પરગણા રબારી સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં આ સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહ્યા હતા. રબારી સમાજની ગુરુ ગાદી દુધરેજધામ વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુ, વડવાળા ધામ દુધઈના મહંત રામબાલકદાસ બાપુ સહિતના સંતો-મહંતો, અગ્રણીઓ અને આગેવાન પ્રતિનિધિઓની હાજરીમાં રિવાજો અને પરંપરાઓમાં જરૂરી સુધારાઓ અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. સમાજની એકતા, પ્રગતિ અને ભાવિ પેઢીના વિકાસને કેન્દ્રસ્થાને રાખીને યોજાયેલું આ સ્નેહ મિલન રબારી સમાજ માટે એક ઐતિહાસિક તબક્કો સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
પશ્ચિમ કચ્છ LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા મુંદરા મરીન અને નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ ₹62,500ની કિંમતનો 2500 લિટર દેશી દારૂ બનાવવાનો આથો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે બે આરોપીઓની પણ ધરપકડ કરી છે. LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. જેઠી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી. જાદવની સૂચનાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મુંદરા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન, LCBની ટીમે 1500 લિટર દેશી દારૂ બનાવવાનો આથો પકડ્યો હતો, જેની કિંમત ₹37,500 આંકવામાં આવી છે. આ કેસમાં ગોયરસમા, તા. મુંદરાના શીવુભા તોગાજી જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં LCBની અન્ય ટીમે પેટ્રોલિંગ દરમિયાન 1000 લિટર દેશી દારૂ બનાવવાનો આથો જપ્ત કર્યો હતો, જેની કિંમત ₹25,000 છે. આ મામલે પિથોરાનગર (સુજાપર), તા. અબડાસાના મહાવીરસિંહ ચતુરસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. બંને કિસ્સાઓમાં, પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જપ્ત કરાયેલા કુલ મુદ્દામાલમાં 2500 લિટર દેશી દારૂ બનાવવાનો આથો સામેલ છે.
દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર શુક્રવારે સવારે ટેકનિકલ ખામી સર્જાતાં ફ્લાઇટ ઓપરેશન ખોરવાયું હતું, જેને કારણે અમદાવાદ એરપોર્ટ પર પણ તેની અસર અત્યાર સુધી જોવા મળી રહી છે. ગઈકાલે એટલે કે, 9 નવેમ્બરના રોજ 20 ફ્લાઇટ 1 કલાકથી 4 કલાક જેટલી મોડી પડી હતી. જેમાં સૌથી વધુ ઈન્ડિગોની 15 ફ્લાઇટ લેટ થઈ હતી. ઈન્ડિગોની સૌથી વધુ 15 ફ્લાઇટો મોડી પડીદિલ્હીથી આવેલી ફ્લાઇટ નંબર 6792 સૌથી વધુ એટલે કે, 4 કલાક મોડી પહોંચી હતી. મુંબઈથી આવેલી ફ્લાઇટ્સમાં 5189 અને 534 એક કલાક, જ્યારે 5251 બે કલાક મોડી પડી હતી. પૂણેની 819, હૈદરાબાદની 6927, લખનૌની 142, દુબઇની 7526, મુંબઈની 2347, જમ્મુની 6109, ગાઝિયાબાદની 2568, મુંબઈની 683, દિલ્હીની 5317 તેમજ લખનૌની 6968 આ બધી ફ્લાઇટ્સ એક-એક કલાક જેટલી મોડી પડી હતી. બેંગલુરુની ફ્લાઇટ નંબર 6545 બે કલાક મોડી પડી હતી. એર ઇન્ડિયાની પણ એક ફ્લાઇટ મોડી પહોંચીજ્યારે સ્માર્ટ વિંગ્સની કુલ 4 ફ્લાઇટો પણ સમયસર પહોંચી શકી નહોંતી. દિલ્હીથી આવેલી SG 8193 ફ્લાઇટ અઢી કલાક, કોલકાતાની 494 અને દુબઇની 16 ફ્લાઇટ 3 કલાક, જ્યારે પટનાની 877 ફ્લાઇટ 1 કલાક મોડી પડી હતી. એર ઇન્ડિયાની પણ એક ફ્લાઇટ મોડી પહોંચી હતી. દિલ્હીથી આવેલી AI 2939 ફ્લાઇટ 2 કલાક મોડી પડી હતી.
વલસાડ ખાતે કોંગ્રેસ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં પ્રદેશના અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને વરિષ્ઠ નેતા ગૌરવ પંડ્યાએ રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ખેડૂતોના હિતમાં દેવા માફી અને ન્યાયપૂર્ણ સહાય પેકેજની માંગ કરી હતી. ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં સરકારે કમોસમી વરસાદ અને કુદરતી આપત્તિને કારણે થયેલા પાક નુકસાન માટે જાહેર કરેલું સહાય પેકેજ માત્ર “પડીકું” સમાન છે. તેમણે આ પેકેજને ખેડૂતો સાથેની મજાક ગણાવ્યું હતું. પટેલે ભારપૂર્વક કહ્યું કે, લાખો ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકારનું આ પેકેજ નગણ્ય છે.અનંત પટેલે પ્રશ્ન કર્યો કે જો ઉદ્યોગપતિઓના લાખો કરોડના દેવા માફ થઈ શકે છે, તો ખેડૂતોના કેમ નહીં? તેમણે ખેડૂતોના દેવા તાત્કાલિક માફ કરવાની કોંગ્રેસ પાર્ટીની સ્પષ્ટ માંગ દોહરાવી હતી. પટેલે ચેતવણી આપી હતી કે જો સરકાર ખેડૂતોની દેવા માફી અને યોગ્ય સહાય પેકેજ જાહેર નહીં કરે, તો આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં તેને પરિણામ ભોગવવા પડશે.કાર્યક્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગૌરવ પંડ્યાએ પણ સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકાર ખેડૂતોના પ્રશ્નો પરથી ધ્યાન હટાવી ઉદ્યોગપતિઓના હિતમાં નિર્ણયો લઈ રહી છે. પંડ્યાએ જણાવ્યું કે કૃષિ ગુજરાતની કરોડરજ્જુ છે, પરંતુ ખેડૂતોને મુશ્કેલીમાં ધકેલી દેવામાં આવ્યા છે. ગૌરવ પંડ્યાએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ ખેડૂતો સાથે છે અને જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો દક્ષિણ ગુજરાતમાં વિશાળ જન આક્રોશ રેલી યોજવામાં આવશે. આ પ્રસંગે કોંગ્રેસના અન્ય સ્થાનિક નેતાઓએ પણ ખેડૂત હિતમાં એકજૂટ થઈને લડત આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે માણસા તાલુકાના હરણા હોડા ગામમાં આવેલા પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આજે સવારના પિતા રૂમમાં જતાં દૃશ્યો જોઈને ફસડાઈ પડ્યાં હતાં. હાલમાં કોન્સ્ટેબલના આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી. કોન્સ્ટેબલે આપઘાત કરી લેતાં બે દીકરી અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પત્ની-બાળકોને સાસરીયામાં મુકી આવ્યાં હતાંપોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ઈશ્વરસિંહ ચાવડા (ઉં.વ.39) માણસા તાલુકાના હરણા હાડા ગામમાં પિતા સાથે રહેતા હતા. નરેન્દ્રસિંહના પરિવારમાં તેમની પત્ની, બે દીકરી અને દોઢ વર્ષનો એક દીકરો છે. 9 નવેમ્બરના રવિવારે સવારે નરેન્દ્રસિંહ તેમની પત્ની અને બાળકોને તેમના સાસરી કોલવડા ખાતે મૂકીને ગાંધીનગર પોતાની ફરજ પર ગયા હતા. તેઓ ડીઆઈજી કચેરી ખાતે રીડર શાખામાં ફરજ બજાવતા હતા અને તેમની નોકરી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં હતી. નોકરી પરથી આવી રાતે પિતા સાથે ભોજન કર્યું હતુંફરજ પરથી પરત આવ્યા બાદ નરેન્દ્રસિંહે ઘરે જઈને પિતા ઈશ્વરસિંહ સાથે રાત્રે ભોજન લીધું હતું અને બાદમાં પોતાના રૂમમાં સૂવા ગયા હતા. આજે (10 નવેમ્બર) સવારે પિતા ઈશ્વરસિંહ વહેલા ઉઠીને પાણી આવ્યું હોવાથી દીકરા નરેન્દ્રસિંહને ઉઠાડવા માટે તેના રૂમમાં ગયા હતા અને રૂમની અંદરનું દૃશ્ય જોઈને તેઓ ફસડાઈ પડ્યા હતા. નરેન્દ્રસિંહ પંખે લટકેલી હાલતમાં હતા. હાલમાં આપઘાતનું કારણ અકબંધ છેઃ PI, માણસાઆ બનાવના પગલે આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક માણસા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહનું પંચનામું સહિતની કાનૂની પ્રક્રિયા શરૂ કરી હતી. આ અંગે માણસા પીઆઈ પી. જે. ચુડાસમાએ જણાવ્યું કે, હાલમાં આપઘાતનું કારણ અકબંધ છે. ગઈકાલે નરેન્દ્રસિંહ પોતાની ફરજ ઉપર ગયા હતા અને તેમની પત્ની તથા બાળકો પિયર કોલવડા ગયાં છે. તેમણે એકલતાનો લાભ ઉઠાવી કોઈ કારણસર પંખે દોરી વડે ગળાફાંસો ખાઈ લીધો છે. નરેન્દ્રસિંહ અઠવાડિયાથી SOGમાં નોકરી કરતા હતા: PI, SOGઆ અંગે એસઓજી પીઆઇ વી. ડી. વાળાએ વધુમાં ઉમેર્યું કે, નરેન્દ્રસિંહની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નિમણૂક હતી. બાદમાં તેઓ એટેચમાં ડીઆઈજી કચેરી ખાતે ફરજ હતી. છેલ્લા એક અઠવાડિયાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં નોકરી કરતા હતા. પોલીસે મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરીયુવાન કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર જીવન ટૂંકાવતા પોલીસ બેડામાં શોકની લાગણી ફરી વળી છે. પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને આત્મહત્યા પાછળના સાચા કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
ભારતીય મજદૂર સંઘ દ્વારા દત્તોપંત ઠેંગડીજીની 106મી જન્મજયંતી નિમિતે રિવરફ્રન્ટ પર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા 161 યુનિયનો અને મહાસંઘના કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. દરેક સંગઠન પોતાના પડતર પ્રશ્નોને લઈને મોટી સંખ્યામાં ભેગા થયા છે. આ પડતર માંગણીઓને લઈને મોટી સંખ્યામાં ભેગા થઈને ભારતીય મજદૂર સંઘના કર્મચારીઓ સરકાર સામે દેખાવો કરશે. જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના મુદ્દાઓને લઈને જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અનેક વખત ચર્ચા થયા બાદ પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ના આવતા વિરોધ કરાશે. તેમજ મહાસંમેલન બાદ યુનિયનના 5-5 સભ્ય મુખ્યમંત્રી સહિત તમામ વિભાગોના મંત્રીઓને આવેદન પત્ર આપશે. ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગ જગતમાં કામ કરતા કર્મચારીઓ માટે કામના કલાકો 8 કલાકથી વધારીને 12 કલાક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું યોગ્ય નિરાકરણ લાવવા માટે ચર્ચા-વિચારણા કરેલી જેમાં એક સમિતિનું ગઠન કરવું, જેમાં ભારતીય મજદૂર સંઘનું પ્રતિનિધિત્વ રહે અને આ મુદ્દે ઉદ્યોગોમાંથી આવેલી રજુઆતને ધ્યાને લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. જ્યાં સુધી સમિતિનું ગઠન ના થાય ત્યાં સુધી નિર્ણયનું અમલીકરણ ના કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. તમામ યુનિયનો પોતપોતાના સંગઠનો સાથે રિવરફ્રન્ટ પર પહોંચી રહ્યા છે. નાની નાની રેલી સ્વરૂપે પોતાની માંગણીઓને લઈને યુનિયન મહાસંમેલન માટે પહોંચી રહ્યા છે. ભારતીય મજદૂર સંઘની સરકાર કઇ કઇ માંગણીઓ છે?
બોટાદમાં કાર ખાડામાં ખાબકી:ટ્રાફિક પોલીસે ભારે જહેમત બાદ દોરડાથી બાંધી પોલીસ વાનથી બહાર કાઢી
બોટાદ જિલ્લામાં ટ્રાફિક પોલીસે સરાહનીય કામગીરી કરી છે. ફાધરનાં મેલડી માતાજી મંદિર નજીક એક કાર રોડ પરથી નિયંત્રણ ગુમાવી ખાડામાં પડી ગઈ હતી, જેને પોલીસે સમયસર પહોંચીને બહાર કાઢી હતી. મળતી માહિતી મુજબ, બોટાદના રહેવાસી મહેશભાઈ પ્રજાપતિ પોતાની કારમાં જઈ રહ્યા હતા. મંદિર નજીક પહોંચતા અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં તેમની કાર રોડની નીચે આવેલા ખાડામાં ઉતરી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ જિલ્લા ટ્રાફિક PSI એ. એમ. રાવલે તાત્કાલિક પોતાની ટીમને જાણ કરી હતી. ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પોલીસ વાનની મદદથી કારને ખાડામાંથી સુરક્ષિત રીતે બહાર ખેંચી રોડ પર લાવી હતી. કાર ચાલક મહેશભાઈ પ્રજાપતિએ ટ્રાફિક પોલીસની આ તાત્કાલિક અને અસરકારક કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા ટ્રાફિક પોલીસની આ કામગીરીને સ્થાનિક લોકોએ પણ બિરદાવી હતી.
ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં જૂની અદાવતને કારણે ચાર શખ્સોએ એક યુવક પર હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને માથામાં પાઇપ મારતા ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવતા માથામાં પાંચ ટાંકા આવ્યા હતા. આ અંગે યુવકે બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદી જયદિપસિંહ ઉર્ફે ચીનભા પ્રવિણસિંહ પરમાર ઉ.વ. 28, રહે. ચિત્રા એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ બજાજ ફાઇનાન્સ કંપનીમાં લોન રિકવરીનું કામ કરે છે ગત તા.9 નવેમ્બર 2025 ના રોજ રાત્રે નવેક વાગ્યાના સુમારે તેઓ મિત્રો કાર્તિક મકવાણા, કિરણ વિંઝુડા અને કરણ કાઠી સાથે ફુલસર સ્વપ્ન સાકાર ખાતેથી મિત્ર શિવરાજસિંહને ઉતારીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ફુલસર મુખ્યમંત્રી આવાસ યોજના સામે આવેલ રાધે પાન ખાતે સિગારેટ પીવા ઊભા હતા. તે સમયે ત્યાં હાજર નિલેષ સાટીયા, સુમિત, જીગો અને પીન્ટોએ તેમને રોક્યા હતા. સુમિતે જયદિપસિંહને શું અમારી સામે કાતર મારે છે, કંઈ હવા છે? તેમ કહી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. જયદિપસિંહે ગાળો આપવાની ના પાડતા નિલેષ, જીગો અને પીન્ટોએ તેમને ઢીકા-પાટુનો મુંઢ માર માર્યો હતો. આ ઉપરાંત, સુમિતે તેના હાથમાં રહેલા પાઇપ વડે જયદિપસિંહના માથામાં એક ઘા માર્યો હતો, જેના કારણે તેમને લોહી નીકળવા લાગ્યું હતું. માથામાં ઈજા થતા જયદિપસિંહને તેમના મિત્રો ભાવનગરની સર ટી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેમને માથાના ભાગે પાંચ ટાંકા આવ્યા હતા, હુમલાખોરો જતા-જતા હવે પછી જો અમારી સામે હવા કરીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ગયા હતા. આ હુમલાનું કારણ થોડા દિવસો પહેલા બાઇક ચલાવવા બાબતે નિલેષ સાટીયા સાથે થયેલી સામાન્ય બોલાચાલીની જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જયદિપસિંહે નિલેષ સાટીયા, જીગો, સુમિત અને પીન્ટો વિરુદ્ધ ગાળો આપી, ઢીકા-પાટુ અને પાઇપ વડે માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પાટણ જિલ્લાના હારીજ ખાતે આજે ગંભીર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. હારીજ-બેચરાજી બાયપાસ હાઇવે પર નવા રોડનું કામ ચાલુ હોવાથી અને રોડ પર મસમોટા ખાડા પડી જતાં ભારે તથા લોડિંગ વાહનોને મેઈન બજારમાંથી પસાર થવું પડ્યું હતું. જેના પરિણામે હારીજ હાઇવે ચોકડી પર ચારેય બાજુ 1 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી અને કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. હારીજ-બેચરાજી બાયપાસ હાઇવે પર નવીન રોડનું કામ ચાલી રહ્યું છે. કામગીરીના સ્થળે રોડની કથળેલી હાલત અને મોટા ખાડાઓને કારણે ભારે વાહનો તેમજ લોડિંગ વાહનોએ બાયપાસનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું. આ તમામ વાહનો હારીજ શહેરના મેઈન બજાર વિસ્તારમાંથી પસાર થતાં ટ્રાફિકનું ભારણ અસામાન્ય રીતે વધી ગયું હતું. આ સ્થિતિને કારણે હારીજ હાઇવે ચોકડી પર કલાકો સુધી ટ્રાફિક સંપૂર્ણપણે થંભી ગયો હતો. ચારેય દિશામાં વાહનોની લગભગ 1 કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ હતી, જેના લીધે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. ટ્રાફિક જામની ગંભીરતા ત્યારે વધી જ્યારે આ જામમાં એક ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. ટ્રાફિકની જાણ થતાં તાત્કાલિક અસરથી ટ્રાફિક પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા કલાકોની સઘન જહેમત અને વ્યવસ્થાપન બાદ ટ્રાફિકને ધીમે ધીમે દૂર કરવામાં આવ્યો હતો અને વાહન વ્યવહાર સામાન્ય બનાવવામાં આવ્યો હતો.
જામનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અક્ષરપુરુષોત્તમ મહારાજની ઉપસ્થિતિમાં બાળકો અને યુવાનોએ વિવિધ વેશભૂષા ધારણ કરી, ધજા ફરકાવી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને ભાવભીનું સ્વાગત કર્યું હતું. મહંત સ્વામીના સ્વાગત અને દર્શન માટે મંદિરમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂજા દર્શન, પારાયણ અને 'વાલમના વધામણા' સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ ભવ્ય સ્વાગત સમારોહમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. સંતો અને હરિભક્તો વતી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી ધર્મનીતિ સ્વામી સહિતના સંતોએ મહંત સ્વામી મહારાજને ફૂલહાર પહેરાવીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે હજારોની સંખ્યામાં હરિભક્તોની જનમેદની ઉમટી પડી હતી. મહંત સ્વામીના દર્શન કર્યા બાદ આરતી યોજાઈ હતી અને 'વાલમના વધામણા' કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહંત સ્વામી મહારાજે ઉપસ્થિત હજારો હરિભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સ્વાગત સમારોહમાં જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદ ખીમસુરીયા અને પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે પણ જામનગર વતી સ્વાગત કર્યું હતું. મેયર વિનોદ ખીમસુરીયાએ જામનગરની જનતા વતી સન્માન પત્ર આપી મહંત સ્વામીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે શાસક પક્ષના નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા, મેરામણ ભાટુ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહી મહંત સ્વામીના દર્શન કરી સ્વાગત કર્યું હતું.
રાજ્યના સરહદી કચ્છ જિલ્લામાં ઠંડીએ મોડી પણ મક્કમ પકડ જમાવી છે. છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં નલિયા અને ગાંધીનગર સૌથી ઠંડા સ્થળો તરીકે નોંધાયા છે, જ્યાં તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. ખાસ કરીને, જિલ્લામાં સૌથી વધુ ઠંડી અનુભવતા નલિયામાં આજે સતત બીજા દિવસે લઘુતમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગાંધીનગરમાં પણ સમાંતર સ્તરે ઠંડી નોંધાઈ છે, જેના કારણે આ બંને સ્થળો રાજ્યના સૌથી મોખરાના શીત કેન્દ્રો બન્યા છે. જિલ્લા મથક ભુજ શહેરમાં પણ ઠંડીનો પારો નીચે સરક્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, આજે ભુજમાં લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઠંડીની અસર જનજીવન પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. વહેલી સવારે દૈનિક રોજગાર માટે નીકળતા લોકો અને શાળાએ જતા બાળકો ગરમ વસ્ત્રોનો સહારો લેતા જોવા મળ્યા હતા. જાહેર માર્ગો પરથી પસાર થતા લોકો પણ ઠંડીનો અનુભવ કરતા નજરે પડ્યા હતા. એક તરફ હવામાન નિષ્ણાતો દ્વારા આ વખતે કડકડતી ઠંડીમાં આંશિક રાહત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ પ્રારંભિક ઠંડીની ચમક જોતા હાલ તો ઠંડી વધુ વધે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે.

28 C