SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

ઘરમાં ધમધમતું ઈન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયું:વિદેશમાં કોલ કરી ગ્રાહકોને તમારી લોન મંજુર થઇ ગઇ છે તેમ કહીને છેતરપિંડી કરતા, 9 શખસો સામે ફરિયાદ

વડોદરા શહેરના છેવાડે આવેલા એક બંગલામાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલતું હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે દરોડો પાડતા ઘરમાં ચાલતા ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનું સેટઅપ જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. વિદેશમાં કોલ કરી ગ્રાહકોને તમારી લોન મંજુર થઇ ગઇ છે જણાવી છેતરીપીંડી કરતા હોવાનું ખુલ્યુ હતુ. પોલીસે આ મામલે નવથી વધુ લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દરોડો પાડી 1.55ની કિંમતના 6 મોબાઈલ ફોન, તેમજ લેપટોપ, રાઉટર જમા કરી વધુ તપાસ હાથ ધરી છે. બાતમીના આધારે સાઇબર ક્રાઈમની ટીમ પંચો સાથે સ્થળ પર પહોંચીવડોદરા શહેરના કલાલી -ચાપડ રોડ પર આવેલા વેન્ટેજ બંગલામાં સ્વયં રાઉત તેના સાગરીતો સાથે ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવી વિદેશી ગ્રાહકોને ફોન કરી તમારી લોન મંજૂર થઇ ગઇ છે એવી વાતચીત કરી છેતરપીંડી કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે સાઇબર ક્રાઈમની ટીમ પંચો સાથે સ્થળ પર પહોંચી હતી. જ્યાં બંગલામાં પ્રવેશતા અંદર ત્રણ લોકો જણાઈ આવ્યાં હતા. જેથી પોલીસે સ્વયં રાઉત, સ્નેહ મુકુંદભાઈ પટેલ અને અંશ હિતેશભાઇ પંચાલને તેજ સ્થિતિમાં બેસી રહેવા જણાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન મોબાઈલ ફોન, લેપટોપ મળી આવ્યાં હતા. જેની ઊંડાણપૂર્વક તપાસ કરતા લેપટોપમાં અલગ અલગ એક્સેલ ફાઇલો ખુલ્લી જોવા મળી હતી. જેમાં આખા નામ, મોબાઇલ નંબર અને એડ્રેસ, સ્ટેટ, ઝીપ કોડ તેમજ બેન્કના નામો સાથેનું આખું લિસ્ટ જોવા મળ્યું હતુ. પૈસા USDTમાં કન્વર્ટ કરી વોટ્સઅપ વોલેટમાં ટ્રાન્સફર કરી આપતો ​​​​​​​આ લિસ્ટ થકી તેઓ વિદેશીમાં રહેતા લોકોને ફોન કરી PROSPER ફંડીંગ તરફથી તમારી લોન મંજુર થઈ છે તેમ કહીં ગ્રાહકનો પ્રિપેટ કાર્ડનો નંબર, એક્સપાયરી ડેટ, સીવીવી નંબર મેળવી અંશ પંચાલ અને સ્નેહ પટેલ ટેલીગ્રામ ગ્રુપ Super sales manમાં રહેલા પાંચ લોકોને પણ મોકલતા હતા. જે ગ્રુપમાંથી આગળ સ્વયમ રાઉત વોટ્સઅપ ગ્રુપ Richies ડોલરમાં મોકલી આપતો હતો. જેમાં પણ ચાર સભ્યા હતા. આ પૈકીનો અમ્યું પ્રિપેટ ડેબીટ કાર્ડની માહિતી આધારે તેમાંથી વિદેશી નાણા મેળવી તેનું કમિશન કાપી પૈસા USDTમાં કન્વર્ટ કરી વોટ્સઅપ ઉપર વોલેટ આઈ.ડીમાં ટ્રાન્સફર કરી આપતો હતો. 9 લોકો સામે છેતરપીંડીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીત્યારબાદ સ્વયં રાઉત આંગળીયા મારફતે પૈસા મેળવી લેતો હતો. પોલીસે આ મામલે સ્વયં અરૂણ રાઉત (ઉંમર.32) (રહે, નંદ સોસાયટી, રિલાયન્સ મોલ અક્ષર ચોક), સ્નેહ મુકુંદભાઈ પટેલ (ઉંમર.23), (રહે. ટેકરા ફળીયુ, વેડચાગામ ભરૂચ) અને અંશ હિતેશભાઈ પંચાલ (ઉંમર21) (રહે. પુષ્પ હાઈટ-2 માંજલપુર) સહિત અન્ય 9 લોકો સામે છેતરપીંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 10:12 pm

ICSI CSEET પરિણામ:દાદાના અવસાનના આઘાત છતાં હિંમત ન હારી, માત્ર બે મહિનાની ઓનલાઇન તૈયારીમાં સુશ્રી કાર્તિકાએ 200માંથી 167 માર્ક્સ મેળવ્યા

ધી ઈન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ દ્વારા તાજેતરમાં લેવાયેલી કંપની સેક્રેટરી એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરતની સુશ્રી કાર્તિકાએ વિપરીત સંજોગોમાં પણ શાનદાર સફળતા મેળવી છે. મૂળ તમિલનાડુના કાર્તિકાએ પોતાના દાદાના અવસાનના આઘાત વચ્ચે સુરત સ્થળાંતર કર્યું હતું અને માત્ર બે મહિનાના ઓનલાઇન અભ્યાસ થકી 200માંથી 167 માર્ક્સ મેળવ્યા છે. માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં જ તેનું પરિણામ જાહેર કરી દીધુપોતાની સફળતા વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કોલેજના અભ્યાસ સાથે સતત મહેનત અને પરિવાર તેમજ માર્ગદર્શકોના સહકારથી તેમણે હાર માન્યા વગર આ સિદ્ધિ હાંસલ કરી છે. ICSI દ્વારા આ પરીક્ષા 8 અને 10 નવેમ્બરના રોજ યોજવામાં આવી હતી અને સંસ્થાએ માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં જ તેનું પરિણામ જાહેર કરી દીધું છે. સુરતમાંથી સુશ્રી કાર્તિકા ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓએ પણ ઉમદા પ્રદર્શન કર્યું છે, જેમાં ધનુષ વાગરમે 156 માર્ક્સ અને હેત હરખાણીએ 138 માર્ક્સ મેળવીને સફળતા પ્રાપ્ત કરી છે. કંપની સેક્રેટરી બનવા માટે વિદ્યાર્થીએ કુલ ત્રણ તબક્કામાંથી પસાર થવું પડે છે, જેમાં પ્રથમ સ્ટેજ CSEET, બીજો સ્ટેજ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ અને ત્રીજો તથા અંતિમ સ્ટેજ પ્રોફેશનલ પ્રોગ્રામ તરીકે ઓળખાય છે. 15 ડિસેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી શકશેહવે આગામી CSEET પરીક્ષા જાન્યુઆરી મહિનામાં યોજાશે, જેના માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. કંપની સેક્રેટરી બનવા માંગતા અને ધોરણ-12 કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો ICSIની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને 15 ડિસેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા ઈચ્છે છે તેમના માટે સમયસર રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે જેથી તેઓ જાન્યુઆરી સેશનમાં પરીક્ષા આપી શકે. જોકે, અમુક ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારોને આ એન્ટ્રન્સ ટેસ્ટ (CSEET)માંથી મુક્તિ આપવામાં આવી છે. જે ઉમેદવારોએ CA અથવા CMA ની પરીક્ષા પાસ કરી હોય કે પછી ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 50 ટકા કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા હોય, તેમણે પહેલા સ્ટેજની પરીક્ષા આપવાની જરૂર રહેતી નથી. આવા ઉમેદવારો સીધા જ કંપની સેક્રેટરી કોર્સના બીજા સ્ટેજ એટલે કે એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ માટે રજિસ્ટ્રેશન કરાવી પોતાની કારકિર્દી આગળ વધારી શકે છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 10:03 pm

હળવદમાં ખેડૂતોની 12 મોટર ચોરીના કેસમાં 6 આરોપી ઝડપાયા:સુસવાવ પાસેથી ચોરાયેલી મોટરોનો 4.90 લાખનો મુદ્દામાલ કબજે

હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસેથી ખેડૂતોની 12 ઇલેક્ટ્રિક મોટરની ચોરીના ગુનામાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગુનામાં કુલ 4.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એલસીબી ટીમે આ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. થોડા દિવસો પહેલા સુસવાવ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી પાણી ખેંચવા માટે ખેડૂતોએ મૂકેલી 12 ઇલેક્ટ્રિક મોટરોની ચોરી થઈ હતી. આ અંગે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ફરિયાદો નોંધાઈ હતી. પોલીસે આ ફરિયાદોના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, એલસીબી ટીમને બાતમી મળી હતી કે મોરબીમાં માળિયા ફાટક પાસે સર્કિટ હાઉસ સામે આવેલા 'નસીબ સ્ક્રેપ' નામના ભંગારના ડેલામાં બોલેરો ગાડી નંબર GJ 37 T 2550 માં ઇલેક્ટ્રિક મોટરનો ભંગાર વેચવા માટે કેટલાક શખ્સો આવ્યા છે. બાતમીના આધારે એલસીબીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્યાંથી ઇલેક્ટ્રિક મોટરો તોડીને તેમાંથી નીકળેલા તાંબાના વાયર, લોખંડ, એલ્યુમિનિયમ, પિત્તળ અને બીડનો ભંગાર ગાડીમાં ભરીને વેચવાની પેરવી કરી રહેલા ત્રણ શખ્સો મળી આવ્યા હતા. પોલીસે ચોરાયેલો માલ ખરીદનાર ત્રણ ભંગારના વેપારીઓ સહિત કુલ છ શખ્સોને પકડ્યા હતા. પોલીસે ચોરી કરનાર કરણભાઈ મોતીભાઈ ટોળીયા, રોહિતભાઈ મુન્નાભાઈ ઝિંઝુવાડીયા અને સાગરભાઇ મગનભાઈ પરમાર (રહે. ત્રણેય મોરબી)ની ધરપકડ કરી છે. આ ઉપરાંત, ચોરાઉ મુદ્દામાલ ખરીદનાર ભંગારના વેપારીઓ મંજૂરહુસેન રફીકભાઈ ખુરેશી (રહે. કબીર ટેકરી, મોરબી), હરિલાલ વિરુજી ગુર્જર (રહે. મહેન્દ્રનગર) અને જાવેદભાઈ અલ્લારખાભાઈ સિપાઇ (રહે. રાજકોટ)ને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી 1.90 લાખ રૂપિયાની કિંમતનો 12 ઇલેક્ટ્રિક મોટરનો ભંગાર અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી બોલેરો ગાડી સહિત કુલ 4.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 10:01 pm

કલેક્ટર ઉપાધ્યાયે SIR અંતર્ગત પરિવાર સાથે એન્યૂમરેશન ફોર્મ ભર્યું:મતદાર યાદી સુધારણા માટે નાગરિકોને સક્રિય રીતે જોડાવા અપીલ કરી

જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે આજે તેમના અને તેમના પરિવારના સભ્યોના એન્યૂમરેશન ફોર્મ ભર્યા હતા. આ કાર્યવાહી ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી મતદાર યાદી સઘન સુધારણા (Special Intensive Revision - SIR) પ્રક્રિયાના ભાગરૂપે કરવામાં આવી હતી. ચૂંટણી પંચ દ્વારા જિલ્લામાં મતદાર યાદીની સુધારણા માટેની કામગીરી સફળતાપૂર્વક ચાલી રહી છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ મતદાર યાદીને અપડેટ અને સચોટ બનાવવાનો છે. આ પ્રસંગે કલેક્ટર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ભારતીય લોકશાહીને જીવંત રાખવા માટે ચૂંટણી પ્રક્રિયા અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે જિલ્લાના તમામ વર્ગના લોકોને બી.એલ.ઓ. દ્વારા આપવામાં આવેલા એન્યૂમરેશન ફોર્મ ભરીને તાત્કાલિક પરત કરવા અપીલ કરી હતી. કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા માટે લાયક એક પણ મતદાર બાકી ન રહે તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. આગામી તારીખ 22 અને 23 ના રોજ સવારે 9:00 થી બપોરે 01:00 કલાક દરમિયાન મતદાન મથકો પર બી.એલ.ઓ. ઉપસ્થિત રહેશે અને એન્યૂમરેશન ફોર્મ ભરવામાં જરૂરી મદદ કરશે. કલેક્ટરે જિલ્લાના તમામ નાગરિકોને આ તકનો લાભ લઈ પોતાનું એન્યૂમરેશન ફોર્મ ભરી દેવા અનુરોધ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 9:59 pm

'કમ્પાઉન્ડર'થી 'નકલી ડોક્ટર' બનવાની કહાણી:સુરતના લસકાણા ડાયમંડ ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં બોગસ ડોક્ટર ફરી ઝડપાયો, જેલમાંથી છૂટ્યા બાદ 'બેફામ' બન્યો

સુરત શહેરમાં નકલી ડોક્ટરો સામે પોલીસની કાર્યવાહી યથાવત છે. LCB(લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ઝોન-1ની ટીમે ફરી એકવાર લસકાણા ડાયમંડ ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં દરોડો પાડીને એક એવા શખસને ઝડપી પાડ્યો છે, જેની પહેલા પણ સમાન ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે. આરોપી માત્ર ધોરણ 10 પાસ હોવા છતાં મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર ક્લિનિક ચલાવીને નિર્દોષ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યો હતો. પોલીસે દરોડા પાડી દર્દીઓની સારવાર કરતો રંગેહાથ ઝડપ્યોLCB ઝોન-1ની ટીમને બાતમી મળી હતી કે, લસકાણા ડાયમંડ ઇન્ડસ્ટ્રી - 1, પ્લોટ નંબર - 1માં આવેલું શિવમ ક્લિનિક ફરીથી ગેરકાયદેસર રીતે કાર્યરત છે. બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. પોલીસે આરોપી કમલેશ રામદેવ રાય (ઉં.વ. 40) રહેવાસી: શુભનંદની સોસાયટી-1, કામરેજ (મૂળ બિહાર) ને ક્લિનિક પર દરોડા દરમિયાન આરોપી દર્દીઓની સારવાર કરતા રંગેહાથ ઝડપાયો હતો. શ્રમિકોના વિસ્તારમાં જઈને પોતાની ક્લિનિક શરુ કરી દેતોપોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી કમલેશ રાય પાસે મેડિકલ પ્રેક્ટિસ માટે કોઈ માન્ય ડિગ્રી કે લાયસન્સ નથી. તે અગાઉ કોઈ ડોક્ટરને ત્યાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો. આ અનુભવના આધારે, તેણે લસકાણા જેવા ઔદ્યોગિક વિસ્તારમાં જ્યાં શ્રમજીવી વર્ગ વધુ હોય છે, ત્યાં પોતાની ક્લિનિક શરૂ કરી દીધી હતી. તે દર્દીઓને બેફામપણે એલોપેથિક દવાઓ આપીને તેમની જિંદગી જોખમમાં મૂકી રહ્યો હતો. બોગસ ડોક્ટર તરીકે અગાઉ ઝડપાયો હોવા છતાં ન સુધર્યોઆ કેસની સૌથી ગંભીર બાબત એ છે કે, આ આરોપી અગાઉ પણ પકડાઈ ચૂક્યો છે. થોડા સમય પૂર્વે પણ એલસીબી-1ની ટીમે આ જ વિસ્તારમાંથી આ જ કમલેશ રાયને બોગસ ડોક્ટર તરીકે ઝડપી પાડ્યો હતો. કાયદાકીય પ્રક્રિયા બાદ જેલમાંથી છૂટ્યા પછી પણ આરોપીએ કોઈ શીખ લીધી નહોતી. તેણે બેફામ બનીને સમાન જગ્યાએ તેનું શિવમ ક્લિનિક ફરીથી શરૂ કરી દીધું હતું, જાણે કાયદાનો કોઈ ડર ન હોય. પોલીસે મેડિકલ સાધનો સહિત 43 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યોઝોન-1 એલસીબીની ટીમે મળેલી સચોટ બાતમીના આધારે ફરીવાર ત્વરિત કાર્યવાહી કરીને તેને સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસે ક્લિનિકમાંથી ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસના પુરાવારૂપ મોટો જથ્થો જપ્ત કર્યો છે. નાની-મોટી શસ્ત્રક્રિયા માટે વપરાતા સાધનો, એલોપેથિક દવાઓનો જથ્થો, દવાઓના બોક્સ અને સ્ટ્રીપ્સ, જે વેચવાનો કે આપવાનો અધિકાર નહોતો, મેડિકલ સાધનો, અન્ય તપાસ અને સારવારમાં વપરાતા ઉપકરણો સહિત કુલ રૂ. 43 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સસ્તા દરે સારવારની લાલચમાં કોઈપણ ડોક્ટર પાસે સારવાર ન લેવીપોલીસે આરોપી કમલેશ રામદેવ રાય વિરુદ્ધ કાયદાની સખ્ત કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. તેની સામે નીચેના કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે. ભારતીય દંડ સંહિતા (IPC)ની સંબંધિત કલમો સહિત સામાન્ય રીતે છેતરપિંડી અને જીવન જોખમમાં મૂકવા સંબંધિત કલમોનો સમાવેશ થાય છે. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ (Drugs and Cosmetics Act) ગેરકાયદેસર રીતે દવાઓનો સંગ્રહ કરવા, વેચવા કે આપવા બદલ આ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સુરત પોલીસ કમિશનરની કચેરી દ્વારા સમયાંતરે શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે, સસ્તા દરે સારવારની લાલચમાં કોઈપણ અમાન્ય કે બિન-લાયકાત ધરાવતા ડોક્ટર પાસે સારવાર ન લે. દરેક વ્યક્તિએ પોતાની સારવાર કરાવતા પહેલા ડોક્ટરની ડિગ્રી, ક્લિનિકનું લાયસન્સ અને મેડિકલ કાઉન્સિલ સાથેનું રજિસ્ટ્રેશન તપાસવું હિતાવહ છે. આવા બોગસ ડોક્ટરો માત્ર તમારા પૈસા જ નથી લૂંટતા, પણ તમારા સ્વાસ્થ્યને ગંભીર અને કાયમી નુકસાન પહોંચાડી શકે છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 9:58 pm

રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ સાળંગપુર કષ્ટભંજનદેવના દર્શન કર્યા:મંદિરના સંતોએ તેમનું સ્વાગત કરી આશીર્વાદ આપ્યા

રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ દેશ-વિદેશમાં પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે દર્શન કર્યા હતા. તેઓ દાદાના દર્શને આવ્યા હતા. મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી અને નીલકંઠચરણદાસજી સ્વામી (ગાદી સ્થાન – જેટપુર) દ્વારા મંત્રી કૌશિકભાઈ વેકરિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતોએ તેમને ફૂલહાર પહેરાવી, રક્ષાસૂત્ર બાંધી અને શક્તિ રૂપે તલવાર ભેટ આપી શુભાશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે મંદિરમાં ભાવિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 9:57 pm

પંચમહાલ LCBએ ₹15.78 લાખનો દારૂ ઝડપ્યો:ઘોઘંબાના વેલકોતર ગામેથી તુફાન ગાડી સાથે એક પકડાયો

પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ઘોઘંબા તાલુકાના વેલકોતર ગામેથી ₹15.78 લાખનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ કાર્યવાહીમાં એક તુફાન ગાડી અને એક આરોપીને પણ પકડી પાડ્યો છે. ઝડપાયેલા જથ્થામાં કુલ 4464 બોટલ/ટીન વિદેશી દારૂ અને બીયરનો સમાવેશ થાય છે, જેની કિંમત ₹12,78,432/- આંકવામાં આવી છે. દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી ₹3,00,000/- ની તુફાન ગાડી (નંબર GJ 17 BH 4135) પણ જપ્ત કરવામાં આવી છે. આમ, કુલ ₹15,78,432/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે LCB ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ. દેસાઈએ સ્ટાફને પ્રોહીબીશનની હેરાફેરી કરતા ઇસમો પર વોચ રાખી રેઈડ કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, LCB ગોધરાના ASI નાદીરઅલી નિઝામુદ્દીન અને આ.હે.કો. કેહજીભાઈ સઇદુભાઇને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, એક સિલ્વર કલરની તુફાન ગાડી (GJ 17 BH 4135) માં વિદેશી દારૂનો જથ્થો ભરી ખરોડ ગામ તરફથી નીકળી બોરીયા કેનાલ થઈ વેલકોતર ગામ તરફ આવવાની હતી. આ ચોક્કસ બાતમીના આધારે LCB અને રાજગઢ પોલીસ સ્ટાફના માણસોએ વેલકોતર ગામે ચોકડી ઉપર નાકાબંધી કરી હતી. નાકાબંધી દરમિયાન બાતમી મુજબની તુફાન ગાડીને રોકી તપાસ કરતા તેમાંથી વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થામાં માઉન્ટસ 6000 સુપર સ્ટ્રોંગ બીયર ટીન (2568 નંગ, ₹7,08,768/-), લંડન પ્રાઇડ પ્રીમિયમ વ્હિસ્કી ક્વાર્ટરિયા (816 નંગ, ₹2,30,112/-) અને લંડન પ્રાઇડ ઓરેન્જ ફ્લેવર વોડકા ક્વાર્ટરિયા (96 નંગ, ₹27,072/-) નો સમાવેશ થાય છે. વધુમાં, કિંગફિશર એક્સ્ટ્રા સ્ટ્રોંગ પ્રીમિયમ બીયર ટીન (96 નંગ, ₹37,824/-), રોયલ સ્ટેગ સુપિરિયર વ્હિસ્કી ક્વાર્ટરિયા (144 નંગ, ₹59,328/-), રોયલ સ્ટેગ સુપિરિયર વ્હિસ્કી બોટલો (24 નંગ, ₹39,792/-), મેકડોવેલ્સ નં. 1 રિઝર્વ વ્હિસ્કી ક્વાર્ટરિયા (144 નંગ, ₹47,088/-) અને ગોઆ સ્પિરિટ ઓફ સ્મૂથનેસ વ્હિસ્કી ક્વાર્ટરિયા (576 નંગ, ₹1,28,448/-) પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે લક્ષ્મણકુમાર દલપતભાઈ પટેલ (રહે. નાડાતોડ હનુમાન ફળિયું, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ) નામના આરોપીને પકડી પાડ્યો છે. તેની વિરુદ્ધ રાજગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં LCB ગોધરાના ASI નાદીરઅલી નિઝામુદ્દીન, ASI દિગ્પાલસિંહ દશરથસિંહ, આ.હે.કો. કેહજીભાઈ સઇદુભાઇ, અ.હે.કો. વિક્રમભાઈ મધુરભાઈ, અ.હે.કો. શૈલેષકુમાર બચુભાઈ તથા રાજગઢ પોલીસ સ્ટેશનના અ.પો.કો. અનિલકુમાર દલપતસિંહ અને અ.પો.કો. રાજેન્દ્રસિંહ ગુલાબભાઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 9:52 pm

આહવામાં નવી સરકારી કોલેજનું ખાતમુહૂર્ત:₹15.58 કરોડના ખર્ચે બનશે આધુનિક ભવન

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજના નવા મકાનનું ખાતમુહૂર્ત નાયબ દંડક વિજયભાઈ પટેલની હાજરીમાં કરવામાં આવ્યું. આ પ્રસંગે નાયબ દંડક વિજયભાઈ પટેલે રાજ્ય સરકાર દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં શૈક્ષણિક સુવિધાઓ વધારવાના પ્રયાસોની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ ભવન ₹15.58 કરોડના ખર્ચે તૈયાર થશે. તેમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ, વિશાળ પાર્કિંગ, ઇન્ટરનલ સી.સી. રોડ, કમ્પાઉન્ડ વોલ, અન્ડરગ્રાઉન્ડ સંપ, ફાયર સિસ્ટમ, આધુનિક ફર્નિચર, લેન્ડસ્કેપિંગ અને ગાર્ડન જેવી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. આ ભવન ભૂકંપ પ્રતિરોધક આર-ફ્રેમ સ્ટ્રક્ચર સાથે બનશે. તેમાં ઉચ્ચ ગુણવત્તાનું વેધરપ્રૂફ એક્સટીરિયર પેઇન્ટ, ટાઇલ્સ ફ્લોરિંગ, એલ્યુમિનિયમ સ્લાઇડ વિન્ડોઝ અને વોટરપ્રૂફિંગ જેવા માપદંડોનો ઉપયોગ થશે. જી+૩ માળના આ ભવનમાં કુલ 26 વર્ગખંડ અને નવા શૌચાલય બ્લોક્સની સુવિધાઓ રહેશે. વિજયભાઈ પટેલે જણાવ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારનો મુખ્ય ઉદ્દેશ અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર અને આધુનિક શિક્ષણ પૂરું પાડવાનો છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અધ્યક્ષા નિર્મળાબેન ગાઈન, આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ ચૌધરી, વિવિધ પંચાયતોના સદસ્યો, અધિકારીઓ, કોલેજના પ્રિન્સિપાલ ડો. ઉત્તમ ગાંગુર્ડે અને કાર્યપાલક ઇજનેર કેતન કુકણા સહિત તેમની ટીમ ઉપસ્થિત રહી હતી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 9:48 pm

પોરબંદરમાં પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો:IG નિલેશ જાજડીયાએ નાગરિકોના પ્રશ્નોના ઝડપી નિકાલનું વચન આપ્યું

પોરબંદરમાં જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના નિર્દેશન હેઠળ એક વિશાળ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરબારમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતાના પ્રશ્નો તથા ફરિયાદો રજૂ કરી હતી. આ લોક દરબારનું આયોજન પોરબંદર જિલ્લાના વાર્ષિક નિરીક્ષણના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. પોલીસે નાગરિકોને ખાતરી આપી હતી કે રજૂ થયેલા તમામ પ્રશ્નો પર તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓએ દરેક મુદ્દાની ગંભીરતાથી નોંધ લીધી હતી અને સંબંધિત વિભાગીય અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ જિલ્લામાં પોલીસની વાર્ષિક કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે વર્ષ દરમિયાન બનેલા તમામ મોટા ગુનાઓ સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા છે. ગુજસીટોકમાં સંડોવાયેલા ગુનેગારો, બુટલેગરો અને લૂંટારુઓની ગેંગ સામે કડક કાર્યવાહી કરીને અનેક ગુનાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લો વિશાળ દરિયાઈ સીમા ધરાવતો હોવાથી મરીન સુરક્ષા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં આવેલી ત્રણ મરીન પોલીસ સ્ટેશનો દ્વારા સતત પેટ્રોલિંગ, કડક દેખરેખ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અધિકારીઓએ દરિયાઈ સુરક્ષા વ્યવસ્થામાં સતત સુધારાની ખાતરી આપી હતી. અધિકારીઓએ નાગરિકો દ્વારા રજૂ કરાયેલી ફરિયાદોની ગંભીરતાપૂર્વક તપાસ શરૂ કરવાની ખાતરી આપી હતી. નાગરિકોએ પણ પોલીસ વિભાગના પ્રયાસોની સરાહના કરી અને ભવિષ્યમાં સંપૂર્ણ સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ લોકો અને પોલીસ વચ્ચે વિશ્વાસ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થયો હતો.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 9:47 pm

રાજકોટ ક્રાઇમ ન્યુઝ:વાવડીમાં ભાઈ સાથે રહેતી ગોંડલની 25 વર્ષીય યુવતીનું હાર્ટએટેકથી મોત, ભણવાનું ગમતું ન હોવાથી ધો.6ના વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ

રાજકોટમાં વધુ એક યુવતીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. મૂળ ગોંડલની વતની અને હાલ રાજકોટમાં વાવડી મટુકી ચોક પાસે નંદનવન સોસાયટીમાં નાનાભાઈ સાથે રહેતી દિશા મુકેશભાઈ રામોલીયા (ઉ.વ.25) આજે વહેલી સવારે 5 વાગ્યાં આસપાસ બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબોએ તપાસી મૃત જાહેર કરી હતી. યુવતીને કોઈ બીમારી ન હતી જેથી મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પ્રાથમિક તારણ મુજબ યુવતીનું હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પુછપરછ કરતા પરિવારજનોએ જણાવ્યું કે, દિશા એક ભાઈ અને એક બહેનમાં મોટી હતી. નાનો ભાઈ રાજકોટમાં કારખાનામાં નોકરી કરી અહીં જ રહેતો હોવાથી બહેન તેની સાથે રહેતી હતી. યુવા દીકરીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે. ભણવાનું ગમતું ન હોવાથી ધો.6ના વિદ્યાર્થીએ શાળામાં જ ઝેરી દવા પી લીધી ગ્રીનલેન્ડ ચોક પાસે રહેતો અને ધોરણ 6માં અભ્યાસ કરતો 12 વર્ષીય વિદ્યાર્થી ગઈકાલે સાંજે 4 વાગ્યા આસપાસ પેડક રોડ ઉપર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી પોતાની જ્ઞાનેશ્વર સ્કૂલ ખાતે હતો ત્યારે ઉલ્ટી ઉબકા કરવા લાગતા સ્કૂલના સ્ટાફ અને શિક્ષકોની નજર પડી હતી. શિક્ષકે તેને પૂછ્યું કે શું થયું તો વિદ્યાર્થીએ કહ્યું હતું કે પોતે ઝેરી દવા પી લીધી છે. જેથી તાત્કાલિક શિક્ષકોએ તુરંત વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસે વિદ્યાર્થીનું નિવેદન નોંધી પરિવારજનોની પૂછપરછ કરી હતી. વિદ્યાર્થીના પિતા ખેતી કામ કરે છે. ઉલ્લેખનીય છે કે બાળકને ભણવું ગમતું ન હોવાથી ઝીરું દવા પી લીધી હતી જેથી શિક્ષકો અને પરિવારજનો થોડા સમય માટે ચિંતાતુર બની ગયા હતા. થોરાળા વિસ્તારનો સગીર પાડોશી સગીરાને લઈને ભાગી ગયો હતો ભાવનગર રોડ પર રહેતા યુવકે થોરાળા પોલીસ સ્ટેશનમાં આરોપી તરીકે તેના વિસ્તારમાં રહેતા શખસનું નામ આપી જણાવ્યું હતું કે તે તેની દીકરીને ગઈકાલે બપોરે બે વાગ્યે સંત કબીર રોડ પર આવેલી શાળામાં ચાલતા ટ્યુશનમાં મૂકીને ઘરે પરત ગયો હતો. દરરોજની જેમ સાંજના 4 વાગ્યે સગીરા ટ્યુશનમાથી છુટી જતી હોય છે પરંતુ સગીરા ટ્યુશનમાંથી પરત ન ફરતા યુવકે તેના નાના ભાઈને તપાસ કરવા કહેતા શિક્ષકે જણાવ્યું હતું કે, બધા બાળકો 4 વાગ્યે છૂટીને ઘરે પરત ફરી ગયા છે. આથી યુવક અને તેના નાના ભાઈએ સગા સંબંધીના ઘરે તપાસ કરતા ત્યાં પણ ન હોવાનું માલુમ પડ્યું હતું. બાદમાં વિસ્તારમાં તપાસ કરતા તેમના જ વિસ્તારમાં રહેતો શખસ સગીરાને શાળા નજીક પોતાના વાહનમાં બેસાડી સાથે લઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ધો.10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના અપહરણના બનાવને લઇ થોરાળા પોલીસ ટીમે તપાસ હાથ ધરી રાત્રીના જ સગીરા અને તેને ભગાડી જનારને શોધી કાઢયા હતાં. પોલીસે આ શખ્સની પુછતાછ કરતા તે પણ 17 વર્ષનો સગીર હોવાનું સામે આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 9:46 pm

ગાંધીનગર મહાનગરપાલિકાને જાહેરાતોમાં નેતાઓના ફોટા બદલ ફટકાર:સુપ્રીમ કોર્ટના આદેશનું કડક પાલન કરવા આદેશ, જાહેરાતમાં રાષ્ટ્રપતિ, PM અને CMના જ ફોટા છાપવા

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સરકારી જાહેરાતો અને હોર્ડિંગ્સમાં ચૂંટાયેલા પદાધિકારીઓના ફોટા છાપીને નાગરિકોના ટેક્સના કરોડો રૂપિયાનો વેડફાટ કરવા બદલ રાજ્યની સરકારી જાહેર ખબર કન્ટેન્ટ નિયમન સમિતિ (GACC) દ્વારા સત્તાવાર નિર્દેશો જારી કરવામાં આવ્યા છે. સમિતિએ આ કૃત્યને સુપ્રીમ કોર્ટના 2015ના ચુકાદા અને માર્ગદર્શિકાનું ઉલ્લંઘન ગણાવી GMCને ભવિષ્યમાં કડક પાલન કરવા આદેશ આપ્યો છે. મેયર, પક્ષના નેતા સહિતના મહાનુભાવોના ફોટા હોર્ડિંગ્સમાં છાપ્યાઅમદાવાદના જાગૃત નાગરિક સંતોષસિંહ રાઠોડ દ્વારા 12 સપ્ટેમ્બર 2024ના રોજ માહિતી અને પ્રસારણ ખાતામાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે, ગાંધીનગર મનપાના હોદ્દેદારો મેયર મીરાબેન પટેલ, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, પક્ષના નેતા અનિલસિંહ વાઘેલા અને તેજલબેન પરમાર સહિતના મહાનુભાવોના ફોટા આશરે 200થી વધુ હોર્ડિંગ્સમાં છાપવામાં આવ્યા હતા. 200 હોર્ડિંગ્સ પાછળ એક વર્ષમાં 340 કરોડનો ખર્ચ કરાયોઆ હોર્ડિંગ્સ નવનિયુક્ત સભ્યોને શુભકામના, ગણેશ ચતુર્થી, અંબાજી પદયાત્રીઓના સ્વાગત, સ્વતંત્રતા દિવસ, અને તિરંગા યાત્રા જેવા પ્રસંગો માટે હતા. ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે એક હોર્ડિંગનો માસિક ખર્ચ (પ્રિન્ટિંગ સહિત) 1.25 લાખ જેટલો છે. જો 200 હોર્ડિંગ્સનો એક વર્ષનો ખર્ચ ગણવામાં આવે તો તે આશરે 340 કરોડ જેટલો થાય છે. ચૂંટાયેલા પદાધિકારીઓના ફોટા છાપવા પર પ્રતિબંધવધુમાં સંતોષસિંહ રાઠોડે તેમની ફરિયાદમાં કોમન કોર્સ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ (મે 2015)માં સુપ્રીમ કોર્ટના ચુકાદાનો આધાર લીધો હતો. આ ચુકાદા મુજબ સરકારી જાહેરાતોમાં વ્યક્તિગત પ્રચાર માટે ચૂંટાયેલા પદાધિકારીઓના ફોટા છાપવા પર પ્રતિબંધ છે. આ ચુકાદાના મુખ્ય સિદ્ધાંતોમાં જાહેરાત ઝુંબેશ સરકારી જવાબદારીઓ સાથે સંબંધિત હોવી જોઈએ. જાહેરાતનો હેતુ કોઈ રાજકીય પક્ષના હિતોને પ્રોત્સાહન આપવાનો ન હોવો જોઈએ. જાહેરાત ઝુંબેશ કાર્યક્ષમ અને ખર્ચ-અસરકારક (cost effective) રીતે થવી જોઈએ. GACCએ 12 નવેમ્બર 2025ના રોજ નિર્દેશો જારી કર્યાસુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી કમિટીના સૂચનોના આધારે જાહેર કરાયેલી Government Advertisement (Content Regulation) Guidelines 2014 તમામ સરકારી સંસ્થાઓ, PSU અને સ્થાનિક સંસ્થાઓ એટલે કે મહાનગરપાલિકાઓને પણ લાગુ પડે છે. સંતોષસિંહની ફરિયાદને ગ્રાહ્ય રાખીને સરકારી જાહેર ખબર કન્ટેન્ટ નિયમન સમિતિ (GACC) દ્વારા 12 નવેમ્બર 2025ના રોજ નિર્દેશો જારી કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ચુસ્તપણે અમલ થાયસમિતિએ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પદાધિકારીઓના ફોટાની પ્રસિદ્ધિને ચુકાદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે ભવિષ્યમાં સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ચુસ્તપણે અમલ થાય તેની કાળજી લેવામાં આવે. વધુમાં અગ્ર સચિવ, શહેરી વિકાસ વિભાગ, ગાંધીનગરને પણ તેમના નિયંત્રણ હેઠળની ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓને સુપ્રીમ કોર્ટના આદેશોનું યોગ્ય અમલીકરણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવા જણાવાયું છે. નાગરિકોના ટેક્સના પૈસાનો યોગ્ય ઉપયોગ થઈ શકેઆ નિર્દેશોથી હવે ગુજરાતની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ સરકારી જાહેરાતોમાં વ્યક્તિગત ફોટા અને પ્રચાર પર અંકુશ મૂકવો પડશે, જેથી નાગરિકોના ટેક્સના પૈસાનો યોગ્ય ઉપયોગ થઈ શકે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 9:46 pm

કલેક્ટર ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક:વિવિધ યોજનાઓના સુવ્યવસ્થિત અમલીકરણ માટે અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા

જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક આજે જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર ઉપાધ્યાયે પીવાના પાણી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે વાસ્મો અને પાણી પુરવઠા વિભાગ દ્વારા તૈયાર કરાયેલી વિવિધ યોજનાઓના સુવ્યવસ્થિત અમલીકરણ માટે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. આ ઉપરાંત, 'નલ સે જલ યોજના' હેઠળ સ્વસહાય જૂથો (SHG) દ્વારા થતી મરામત અને નિભાવણી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓની મરામત અને નિભાવણીની કામગીરી સહકારી મંડળીઓને સોંપવા અંગેની પ્રગતિની પણ સમીક્ષા કરાઈ હતી. કલેક્ટરે જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટ અંતર્ગત કાર્યરત, મંજૂર થયેલા અને પ્રગતિ હેઠળના કામોની પણ વિગતવાર સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ જાડેજા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 9:43 pm

રાજકોટ સમાચાર:કલેક્ટરની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક, ડ્રગ્સ - તંબાકુના વેચાણ પર સખ્ત કાર્યવાહીના આદેશ

રાજકોટ જિલ્લા કક્ષાની નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. તેમણે ડ્રગ્સ વિરોધી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ આવનારા દિવસોમાં ડ્રગ્સ, નશીલી દવાઓ અને શાળાની આસપાસ તંબાકુનું વેચાણ કરનારાઓ સામે સખ્ત કામગીરી કરવા સૂચના આપી હતી. કલેક્ટરે ખાસ કરીને મેડિકલ સ્ટોરમાં પ્રતિબંધિત દવાઓનું નિયમિત પરીક્ષણ કરવા અને પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતા નશીલા સીરપ પર સઘન નિરીક્ષણ રાખવા તાકીદ કરી હતી. તેમણે શાળા-કોલેજ નજીક તમાકુ અને સિગારેટ જેવા નશાકારક પદાર્થોનું વેચાણ થાય નહીં તેનાં માટે દરોડા વધારવા જણાવ્યું હતું. આ બેઠકમાં યુવાનોમાં જાગૃતિ કેળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કલેક્ટરે વ્યસનમુક્તિ કેન્દ્રોનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા તેમજ સરકારી કાર્યક્રમોમાં નાગરિકોને 'સે નો ટુ ડ્રગ્સ'ના શપથ લેવડાવવાના નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત, અવાવરુ જગ્યાઓ અને ડેમ આસપાસ થતા ગાંજા કે અફીણના વાવેતરને શોધી કાઢવા પણ સૂચના આપવામાં આવી હતી. નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠકમાં ડ્રગ્સની હેરાફેરી અટકાવવા કડક પગલાં લેવા સૂચના રાજકોટ ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. જેમાં અન્ય રાજ્યોમાંથી કુરિયર અથવા ટ્રક મારફત આવતા નાર્કોટિક્સ ડ્રગ્સ પર ખાસ વોચ રાખવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. સાથે જ ડ્રગ્સના ઓનલાઈન વેચાણની સંભાવનાને પગલે સાયબર ક્રાઇમ વિભાગને સોશિયલ મીડિયા પર સતર્કતા વધારવા માટે પણ સૂચના અપાઈ હતી. કમિશનરે શ્રમિક વિસ્તારો, શાળાઓ અને કોલેજોમાં નશાકારક દ્રવ્યોથી દૂર રહેવા માટેના જનજાગૃતિ અભિયાનને અસરકારક રીતે રજૂ કરવા પર ભાર મૂક્યો હતો. એટલું જ નહીં નાર્કોટિક્સના આરોપીઓની અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી છે કે કેમ, તે તપાસવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. એન્ટી-ડ્રગ્સ કેમ્પેઇન અંતર્ગત ક્રાઈમ ડી.સી.પી. જગદીશ બાંગરવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગાંજાના વેચાણ અંગે 4 કેસમાં 6 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. શાળાની 100 મીટરની ત્રિજ્યામાં તમાકુ વેચતા પાન ગલ્લા વિરુદ્ધ કોપટા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ 133 કેસ કરાયા છે. રાજકોટ કલેક્ટરના અધ્યક્ષસ્થાને 'જિલ્લા માર્ગ સલામતી સમિતિ' ની બેઠક યોજાઈ રાજકોટ કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને 'જિલ્લા માર્ગ સલામતી સમિતિ'ની બેઠક યોજાઈ હતી. તેમણે હાઈવે પર માર્ગ અકસ્માતો માટે જવાબદાર ગેરકાયદે તોડવામાં આવતા મીડીયમ ગેપ, રોડ સાઈડ દબાણો અને રોડ પરના ખાડાઓ અંગે સંબંધિત અધિકારીઓને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. કલેક્ટરે ખાસ કરીને રેસ્ટોરાં, હોટેલ અને પેટ્રોલ પંપ આસપાસ ગેરકાયદેસર રીતે મીડીયમ ગેપ તોડી રસ્તો બનાવતા માલિકો વિરુદ્ધ કડક દંડનીય કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. તેમણે ટ્રાફિક જામ અને અકસ્માતની સંભાવના ઘટાડવા હાઈવે પર ગેરકાયદે ખાણીપીણીના દબાણો પોલીસના સહયોગથી દૂર કરવા જણાવ્યું હતું. વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા હાઈવે અને સર્વિસ રોડ પરના ગાબડાઓને કારણે વાહનચાલકોને તકલીફ ન પડે તે માટે રોડ રિપેરીંગ અને પેચવર્કની કામગીરી સતત ચાલુ રાખવા સૂચના આપવામાં આવી હતી. રોડ સેફટી કાઉન્સિલના મેમ્બર જે.વી. શાહે જણાવ્યું હતું કે, રોડ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલમાં રૂ. 150000 (દોઢ લાખ) સુધીની કેશલેસ સારવાર મળવા પાત્ર છે. આર.ટી.ઓ. કેતન ખપેડે માર્ગ સલામતી જનજાગૃતિ અંગેના કાર્યક્રમોની વિગતો આપી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડિપ્લોમા ઈન સેનેટરી ઈન્સ્પેક્ટરનો નવો કોર્સ શરૂ કરાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષો બાદ એક મહત્ત્વપૂર્ણ અને જોબ ઓરિએન્ટેડ કોર્સ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પ્રધાનમંત્રીના સ્વચ્છતા અભિયાન બાદ મહાનગરપાલિકા, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં સેનેટરી ઈન્સ્પેક્ટર પોસ્ટ માટે મોટા પાયે ભરતીઓ શરૂ થઈ છે, જેની લાયકાત રાજ્ય સરકાર દ્વારા ડિપ્લોમા ઈન સેનેટરી ઈન્સ્પેક્ટર નિયત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં ઉચ્ચ કક્ષાએ અભ્યાસ કરતા 1 લાખથી વધારે વિદ્યાર્થીઓને અત્યાર સુધી આ કોર્સ ફરજીયાત પ્રાઈવેટ સંસ્થાઓમાં કરવો પડતો હતો, કારણ કે સૌરાષ્ટ્રની કોઈ કોલેજમાં આ અભ્યાસક્રમ ચાલુ ન હતો. યુવા આગેવાન પરેશ રબારી દ્વારા આ અભ્યાસક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, જેને કુલપતિ ઉત્પલ જોષી દ્વારા ધ્યાને લેવામાં આવી હતી. અને વિવિધ સત્તા મંડળે મંજૂરી આપી હતી. આ કોર્સ મંજૂર થવાથી એક લાખ જેટલા વિદ્યાર્થીઓને ઓછી ફીમાં અભ્યાસ કરવાનો લાભ મળશે. વળી, યુજીસી ડ્યુઅલ ડિગ્રી પોલિસી હેઠળ, અત્યારે ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ડિપ્લોમા ઈન સેનેટરી ઈન્સ્પેક્ટર અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવીને બંને ડિગ્રી એકસાથે લઈ શકશે. યુનિવર્સિટી દ્વારા કરાયેલા પરિપત્રમાં પરેશ રબારીની રજૂઆતનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વેરાવળ (શાપર)ના ભીમનગરમાં 14 ગરીબ પરિવારોના મકાનોનાં ડિમોલિશન પૂર્વે વૈકલ્પિક વ્યવસ્થાની રજૂઆત રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ (શાપર) ખાતે ભીમનગર-શાંતિધામ પાસેની સરકારી ખરાબાની જમીન પર વસતા 14 ગરીબ શ્રમિક પરિવારોએ તેમના ઝૂંપડાઓના ડિમોલિશનને રોકવા માટે જિલ્લા કલેક્ટર-રાજકોટને લેખિત રજૂઆત કરી છે. તાજેતરમાં જિલ્લા કલેક્ટરે પરિવારોને ડિમોલિશનની આખરી નોટિસ ફટકારી હતી. અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગના આ પરિવારો છેલ્લા 8 થી 10 વર્ષથી આ જમીન પર વસવાટ કરે છે, જેને તેમણે પોતાના ખર્ચે મહેનત કરીને રહેવાલાયક બનાવી છે. ગ્રામ પંચાયત દ્વારા લાઈટ અને પાણી કનેક્શનના નામે રૂ. 3000ની ઉઘરાણી પણ કરવામાં આવી છે. ત્યારે આ પરિવારોએ રજૂઆત કરી હતી કે, શાપર વિસ્તારમાં હજારોની સંખ્યામાં સરકારી ખરાબા પર મોટા કારખાના, હોટલો અને પાકા મકાનો બાંધેલા હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી, જ્યારે ફક્ત ગરીબ હોવાથી તેમના પર જ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે બંધારણની કલમ-14 નું ઉલ્લંઘન છે. ત્યારે પરિવારોએ માંગ કરી છે કે ડિમોલિશનની કાર્યવાહી હાલ પૂરતી (ઓછામાં ઓછા 6 માસ માટે) મુલતવી રાખવામાં આવે અને પ્રધાનમંત્રી આવાસ યોજના કે અન્ય સરકારી યોજના હેઠળ તેમના માટે વૈકલ્પિક વસવાટ-રહેઠાણની યોગ્ય વ્યવસ્થા કર્યા બાદ જ ડિમોલિશન કરવામાં આવે તેવી માંગ છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 9:42 pm

વેરાવળમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા SWAGAT કાર્યક્રમ યોજાયો:અરજદારોના પ્રશ્નો સાંભળી ત્વરિત નિકાલના સૂચનો અપાયા

જિલ્લા કક્ષાના પ્રશ્નોના નિવારણ માટે લોકોને ગાંધીનગર સુધી જવું ન પડે તે હેતુથી જિલ્લા કક્ષાએ 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત, કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ બેઠકમાં અરજદારો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સરકારી ખરાબો, ગૌચર અને નવા-જૂના ગામતળ પરના દબાણ, તેમજ જૂના ગામતળમાં આવેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા બાબતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અરજદારની માલિકીની જમીનમાંથી દબાણ દૂર કરવા, જમીન ધોવાણ અટકાવવા સંરક્ષણ દિવાલ બનાવવા અને પીએચસીના નબળી ગુણવત્તાવાળા કામ અંગેના પ્રશ્નો પણ રજૂ કરાયા હતા. કલેક્ટર ઉપાધ્યાયે અરજદારોના પ્રશ્નો અને રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. તેમણે સંલગ્ન વિભાગના અધિકારીઓને નાગરિકલક્ષી સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવા માટે કેટલાક સૂચનો આપ્યા હતા. કલેક્ટરે જ્યાં જરૂર જણાય ત્યાં વિભાગો વચ્ચે અરસપરસ સંકલન સાધીને અરજદારોના પ્રશ્નો ઝડપથી હલ થાય તે પ્રકારે કામગીરી કરવા પણ અધિકારીઓને જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી કે.આર. પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.પી. ચૌહાણ અને અજય શામળા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, માર્ગ અને મકાન (રાજ્ય અને પંચાયત), આરોગ્ય વિભાગ, જેટકો સહિત વિવિધ કચેરીઓના કાર્યપાલક ઇજનેરો, તાલુકા મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 9:41 pm

સાબરકાંઠા સાંસદે જિલ્લામાં 25 કિમીની પદયાત્રા કરી:ચાર વિધાનસભામાં સરદાર@150 યુનિટી માર્ચમાં સહભાગી થયા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં સરદાર@150 યુનિટી માર્ચનું આયોજન થઈ રહ્યું છે. આ અંતર્ગત, સાબરકાંઠા લોકસભાની ઇડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને હિંમતનગર વિધાનસભામાં 17 થી 20 નવેમ્બર દરમિયાન યુનિટી માર્ચ યોજાઈ હતી. જેમાં સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ સતત ચાર દિવસ સુધી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે અંદાજિત 25 કિલોમીટરની પદયાત્રા કરી હતી. આ ઉપરાંત, સાબરકાંઠા જિલ્લાના ત્રણ યુવાનો – કમલેશકુમાર ઈશ્વરભાઈ સોલંકી, ખુશી અમૃતભાઈ પ્રિયદર્શી અને મયુરકુમાર અમૃતભાઈ પંડ્યા – રાષ્ટ્રીય એકતા યાત્રા માટે પસંદગી પામ્યા છે. આ અખિલ ભારતીય સ્તરની રાષ્ટ્રીય એકતા યાત્રા 26 નવેમ્બર 2025 થી 6 ડિસેમ્બર 2025 દરમિયાન કરમસદથી એકતાનગર (કેવડિયા) સુધી યોજાશે. આ 150 પદયાત્રીઓ પૈકી તેઓ 152 કિલોમીટરની પદયાત્રામાં ભાગ લેશે. ગુરુવારે હિંમતનગરમાં યોજાયેલી યુનિટી માર્ચમાં સાબરકાંઠાના પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં આ ત્રણેય યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 9:35 pm

હિંમતનગર GMERS મેડીકલના સ્ટુડન્ટોએ 175 બોટલ રક્તદાન કર્યું:ગરીબ દર્દીઓ અને સગર્ભા માતાઓને મદદરૂપ થવા રક્તદાન શિબિરનું આયોજન

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ એક રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. આ શિબિરમાં 175 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે ગરીબ દર્દીઓ અને સગર્ભા માતાઓ માટે ઉપયોગી થશે. હિંમતનગર સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક ખાતે ગુરુવારે સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી આ રક્તદાન શિબિર યોજાઈ હતી. GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ આ શિબિરમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રક્તદાન શિબિરમાં મેડિકલ કોલેજના ડીન, મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. આશિષ કટારકર, આરએમઓ ડો. વિપુલ જાની અને ઇન્ટર્ન ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા. આ સફળ શિબિરના આયોજનમાં ડો. વત્સલ લબાના, ડો. સ્મિતરાજસિંહ ભાટી, ડો. બોની પટેલ, પેથોલોજી ડિપાર્ટમેન્ટના ડો. પરેશ શીલાદારીયા અને ડો. સંજય ચૌહાણ સહિતના સ્ટાફે સઘન જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 9:33 pm

લવાણામાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મળ્યું:કેન્દ્ર સરકારના NMNF કાર્યક્રમ હેઠળ તાલીમ શિબિર યોજાઈ

ખાનપુર તાલુકાના લવાણા ગામે ગ્રામ પંચાયતમાં કેન્દ્ર સરકારના નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) કાર્યક્રમ અંતર્ગત ખેડૂતો માટે એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો ઉદ્દેશ્ય ખેડૂતોને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરવાનો હતો. આ તાલીમ શિબિરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વેજલપુરના વૈજ્ઞાનિક ડૉ. જાદવે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વિશેષતાઓ, તેની તાત્કાલિક જરૂરિયાત અને તેના વ્યાપક ફાયદાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. આ ક્લસ્ટરના પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા ખેડૂતોએ આ તાલીમનો લાભ લીધો હતો. શિબિરમાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના અનુભવો, સફળ ખેતી પદ્ધતિઓ, દેશી બિયારણનું મહત્વ અને પ્રાકૃતિક ઉત્પાદનોના બજાર વ્યવસ્થાપન વિશેની માહિતી અન્ય ખેડૂતો સાથે વહેંચી હતી. આ ઉપરાંત, ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને, શિબિરમાં બાગાયત ખેતી અને મધમાખી પાલન જેવી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલી અન્ય આવકવર્ધક પ્રવૃત્તિઓ પર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભારતમાં અગાઉ અનાજની અછતને પહોંચી વળવા રાસાયણિક ખેતી અપનાવવામાં આવી હતી. શરૂઆતમાં તેના નિયંત્રિત ઉપયોગથી પાકની ઉપજ અને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહી હતી. જોકે, તેના અતિશય ઉપયોગથી જમીનમાં ક્ષાર અને અન્ય કઠણ પદાર્થોનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે જમીનનું ઉપલું પડ નિષ્પ્રાણ બન્યું છે. આના પરિણામે, ખેડૂતોને અપેક્ષિત ઉપજ મળતી નથી, જ્યારે દવાઓ, ખાતરો અને હાઇબ્રિડ બિયારણોના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. વધુમાં, અન્ય પ્રદેશોના બિયારણો સ્થાનિક વાતાવરણને અનુકૂળ ન હોવાથી રોગ અને જીવાતનો ઉપદ્રવ પણ વધ્યો છે. આ તમામ પડકારોનો સામનો કરવા માટે 'પ્રાકૃતિક ખેતી' અથવા 'દેશી ગાય આધારિત ખેતી' એક ઉત્તમ અને ટકાઉ માર્ગ છે. પ્રાકૃતિક ખેતી જમીનને કુદરતી રીતે ફળદ્રુપ બનાવે છે. તે જમીનમાં ભેજ સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો કરે છે અને નિષ્ક્રિય થઈ ગયેલા ઉપયોગી સૂક્ષ્મ જીવો તથા અળસિયાને ફરીથી સક્રિય કરે છે, જે પાકને જરૂરી પોષણ પૂરું પાડે છે. જમીનનું સ્વાસ્થ્ય સુધરવાની સાથે જ ખેડૂતોનો ખેતી ખર્ચ પણ નોંધપાત્ર રીતે ઘટે છે, જેનાથી તેમની આવકમાં વધારો થાય છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 9:28 pm

સાબરકાંઠામાં GRD ભરતીમાં 5 દિવસમાં 2211 ફોર્મ ભરાયા:14 પોલીસ સ્ટેશનો પર 5700 ફોર્મનું વિતરણ, 25 નવેમ્બર અંતિમ તારીખ

સાબરકાંઠા જિલ્લામાં GRD (ગ્રામ રક્ષક દળ) ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. છેલ્લા પાંચ દિવસમાં જિલ્લાના 14 પોલીસ સ્ટેશનો પરથી કુલ 5700 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાંથી 2211 ફોર્મ ભરાઈને પરત જમા થયા છે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 25 નવેમ્બર છે. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા GRD ભરતી માટે ફોર્મ વિતરણ અને સ્વીકારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉમેદવારોએ તેમના નજીકના પોલીસ સ્ટેશનમાંથી ફોર્મ મેળવી, જરૂરી વિગતો ભરી અને પ્રમાણપત્રો જોડીને તે જ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. ફોર્મ વિતરણ 15 નવેમ્બરથી શરૂ થયું છે અને 25 નવેમ્બર સુધી ચાલુ રહેશે. આ કામગીરી હિંમતનગર એ ડિવિઝન, હિંમતનગર બી ડિવિઝન, હિંમતનગર ગ્રામ્ય, પ્રાંતિજ, ઈડર, જાદર, વડાલી, તલોદ, ખેડબ્રહ્મા, ખેરોજ, વિજયનગર, ગાંભોઈ, પોશીના અને ચિઠોડા સહિત કુલ 14 પોલીસ સ્ટેશનો પર ચાલી રહી છે. 15 થી 20 નવેમ્બર સુધીના પાંચ દિવસમાં 5700 ફોર્મનું વિતરણ થયું છે, જેમાંથી 2211 ફોર્મ પરત જમા થયા છે. હાલમાં સાબરકાંઠા જિલ્લામાં 1089 GRD જવાનો ફરજ બજાવી રહ્યા છે, અને 100 થી વધુ GRD જવાનોની જગ્યાઓ પર ભરતી કરવાની છે. ઉમેદવારોએ તેમના રહેઠાણને લાગુ પડતા પોલીસ સ્ટેશનમાંથી જ ફોર્મ મેળવીને ત્યાં જ જમા કરાવવું ફરજિયાત છે. ભરેલા ફોર્મ ટપાલ, કુરિયર કે રૂબરૂમાં અન્ય કોઈ સ્થળે સ્વીકારવામાં આવશે નહીં. પોલીસ સ્ટેશનના સિક્કા વગરનું અથવા નોંધણી થયા વગરનું કોઈપણ ફોર્મ માન્ય ગણાશે નહીં. ફોર્મ સાથે નીચે મુજબના પ્રમાણિત દસ્તાવેજો જોડવાના રહેશે: ચૂંટણી કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ, લિવિંગ સર્ટિફિકેટની નકલ, છેલ્લા અભ્યાસની માર્કશીટની નકલ, લાગતા-વળગતા પોલીસ સ્ટેશનનો દાખલો અને બે પાસપોર્ટ સાઇઝના ફોટા.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 9:27 pm

મુન્દ્રામાં ભાજપની જનસભામાં કિસાન સંઘે ઉગ્ર રજૂઆત કરી:જમીન વળતર મુદ્દે યોગ્ય પ્રતિસાદ ન મળતા નારેબાજી, વિરોધના પગલે પોલીસે સ્થિતિ સંભાળી

મુન્દ્રાના પ્રાગપર ખાતે આજે ભાજપ દ્વારા સરદાર પટેલની 150 મી જન્મ જયંતીના ઉપલક્ષમાં યુનિટી માર્ચ યોજવામાં આવી હતી. આ પૂર્વે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કિસાન સંઘના હોદ્દેદારો પણ ત્યા હાજર હતા અને જમીન વળતર મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે, સભામાં કિસાન સંઘને યોગ્ય પ્રતિસાદ ન મળતા નારેબાજી કરાઈ હતી. કચ્છ જિલ્લામાં જમીન વળતર મુદ્દે ખેડૂતો દ્વારા ખાનગી એકમ સામે વિરોધ ચાલી રહ્યો છે. આ સંદર્ભે કિસાન સંઘે ઉગ્ર રજૂઆત કરી હતી. ખેડૂતલક્ષી વાત ન થતાં, હાજર કિસાન સંઘના સભ્યોએ નારેબાજી કરીને પોતાની લાગણી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જનસભામાં કિસાન સંઘને યોગ્ય પ્રતિસાદ ન મળતા, સભ્યોએ જય જવાન જય કિસાનના નારા પોકાર્યા હતા. મુન્દ્રા તાલુકા કિસાન સંઘના પ્રમુખ અરજણ સાંખરાએ જણાવ્યું કે, કાર્યક્રમમાં મુન્દ્રા, માંડવી અને અંજાર કિસાન સંઘના હોદ્દેદારો ખેડૂત હિતના પ્રશ્નોની રજૂઆત માટે હાજર રહ્યા હતા. મંચસ્થ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે સહિતના સત્તાધીશોને નર્મદા કેનાલ, મગફળીમાં થયેલા નુકસાન અને વાંઢિયા તથા લોડાઈ ગામે અયોગ્ય જમીન વળતરના મુદ્દે લેખિત અરજી આપવામાં આવી હતી. ભાજપના મુખ્ય વક્તાઓના ભાષણ પૂરા થયા બાદ પણ ખેડૂતલક્ષી વાત ન થતાં, હાજર કિસાન સંઘના સભ્યોએ નારેબાજી કરીને પોતાની લાગણી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. વિરોધના પગલે હાજર પોલીસ કાફલાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળી હતી. મુન્દ્રા ભાજપની સભામાં નારેબાજી વિશે ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, મુન્દ્રાના પ્રાગપર ખાતે આજે ભાજપ દ્વારા સરદાર પટેલની 150 મી જન્મ જયંતીના ઉપલક્ષમાં યુનિટી માર્ચ યોજવામાં આવી હતી. આ પૂર્વે આયોજિત જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ બાદ કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારે 5 થી 7 લોકોએ નારેબાજી કરી હોવાની વાત જાણવા મળી હતી. જોકે, ત્યારબાદ વૃક્ષારોપણ અને 8 કિમિ લાંબી યુનિટી માર્ચ યોજાઈ હતી. જે ખેડૂતોનો પ્રશ્ન છે તે માટે સમગ્ર જિલ્લા ભાજપ સંગઠન સક્રિય કામગીરી કરી રહ્યું છે. ભૂતકાળમાં ખેડૂત હિતની ચર્ચા કરાઈ હતી અને હાલ કરાઈ રહી છે તેમજ ભવિષ્યમાં યોગ્ય નિરાકરણ લેવામાં આવશે. કાર્યક્રમ અધૂરો રહ્યો હોવાની વાત અફવા માત્ર છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 9:18 pm

મહિલાઓ સહિત 8 સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો:ઈન્ડોર સ્ટેડિયમ પાસેની કરોડોની ધવલગીરી એપાર્ટમેન્ટની જમીન પર ગેરકાયદે કબજો

સુરતના પોશ વિસ્તાર ગણાતા અઠવાલાઇન્સમાં ઇન્ડોર સ્ટેડિયમ નજીક આવેલી કરોડો રૂપિયાની કિંમતી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી પચાવી પાડવાના કારસાનો પર્દાફાશ થયો છે. ઉમરા પોલીસે જિલ્લા કલેક્ટરના આદેશ બાદ છ મહિલાઓ સહિત કુલ આઠ ઈસમો સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શું છે સમગ્ર મામલો?પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કડોદરા વિસ્તારની જાણીતી ગાર્ડન મિલના માલિક સુરેશભાઈ શાહે વર્ષ 1981માં સુરત મહાનગરપાલિકાની મંજૂરીથી ઇન્ડોર સ્ટેડિયમ પાસે 'ધવલગીરી એપાર્ટમેન્ટ'નું નિર્માણ કર્યું હતું. તે જમાનામાં આ એક લક્ઝુરીયસ પ્રોજેક્ટ ગણાતો હતો. ફ્લેટ માલિકોની સુવિધા માટે અહીં સર્વન્ટ ક્વાર્ટર્સ પણ બનાવવામાં આવ્યા હતા. જોકે, સમય જતાં ઇમારત જર્જરિત થઈ જતાં વર્ષ 2016માં મુખ્ય એપાર્ટમેન્ટ અને સર્વન્ટ ક્વાર્ટર્સ તોડી પાડવામાં આવ્યા હતા અને જમીન ખુલ્લી કરવામાં આવી હતી. હાલમાં આ ખુલ્લી જમીનની બજાર કિંમત અંદાજે રૂ. 5.58 કરોડ આંકવામાં આવે છે. પતરાના કાચા રૂમો બાંધી ગેરકાયદેસર વસવાટ શરૂ કરી દીધોજમીન ખુલ્લી થતાં જ અમુક અસામાજિક તત્વોની નજર તેના પર બગડી હતી. આરોપી મુન્ના હિરાલાલ પરમાર, તેની પત્ની ગંગા, પુત્રી પૂનમ તથા અન્ય ઈસમો જેવા કે નજીમા શેખ, શરીફા શેખ, ફરીદા ઉર્ફે પરી, ચાંદની અને જાવેદ શેખે જુના સર્વન્ટ ક્વાર્ટર્સવાળી જગ્યા પર પતરાના કાચા રૂમો તાણી બાંધી ગેરકાયદેસર વસવાટ શરૂ કરી દીધો હતો. 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી​​​​​​​મૂળ માલિક સુરેશભાઈના અવસાન બાદ તેમના પુત્ર સંજય શાહ આ મિલકતનો વહીવટ સંભાળતા હતા. તેમણે અનેક વખત મૌખિક અને કાયદેસરની નોટિસ આપી જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું, પરંતુ આરોપીઓએ દબાણ હટાવ્યું ન હતું. આખરે, કંટાળીને સંજયભાઈએ જિલ્લા કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી. કલેક્ટર દ્વારા કરવામાં આવેલી તપાસમાં દબાણ ગેરકાયદેસર હોવાનું સાબિત થતાં, પોલીસ ફરિયાદનો આદેશ અપાયો હતો. જેના પગલે ઉમરા પોલીસે કડક હાથે કામગીરી કરતા તમામ 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 9:15 pm

જિલ્લા પંચાયત સામાન્ય સભામાં ખનીજ ચોરી પર વિપક્ષનો આક્રોશ:ગાંધીનગરમાં નદીના પટ્ટમાં રેડ પાડવા અને કાંટા મુકાવવા માગ, સભામાં 8.50 કરોડના વિકાસ કામો મંજૂર

ગાંધીનગર જિલ્લા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં વિકાસના કામોને મંજૂરી આપવા સાથે વિપક્ષે જિલ્લામાં વ્યાપેલી બેફામ ખનીજ ચોરી અને તેમાં તંત્રની સંડોવણીના ગંભીર આક્ષેપો કરીને સભામાં ભારે બઘડાટી બોલાવી હતી. વિપક્ષે અલુવા ગામમાં જુલાઈ મહિનામાં નદી કાંઠાની સરકારી પડતર જમીનમાંથી 8 હજાર જેટલા ડમ્પર માટીનું ગેરકાયદે વેચાણ થયું હોવાનો આક્ષેપ કરી નદીના પટ્ટમાં રેડ પાડવા અને કાંટા મુકાવવા માગ કરી હતી. જ્યારે આજની સભાની કાર્યવાહીમાં 8.50 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી અપાઈ હતી. 15મા નાણાપંચની બચતમાંથી 1.50 કરોડના નવા કામોને મંજૂરીગાંધીનગર જિલ્લા પંચાયતની આજે મળેલી સામાન્ય સભાની શરૂઆતમાં પ્રમુખ શિલ્પાબેન પટેલ અને વિપક્ષના નેતા અજિતસિંહ રાઠોડે સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કર્યા હતા, જોકે 'વંદે માતરમ્' ગાનમાં સભ્યોની નિષ્ફળતા ચર્ચાનો વિષય બની હતી. ત્યાર બાદ સભાની કાર્યવાહીમાં 8.50 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી અપાઈ હતી. જેમાં સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી 7 કરોડથી વધુના ખર્ચે થનારા વિકાસના કામો અને 15મા નાણાપંચની બચતમાંથી 1.50 કરોડના નવા કામોને મંજૂરી અપાઈ હતી. પાતાળકુવાઓની વાર્ષિક મરામત માટેના કોન્ટ્રાક્ટને બહાલી અપાઈઉપરાંત વર્ષ 2020-21થી 2025-26 સુધીના 1.10 કરોડના 22 જેટલા કામોનો હેતુફેર કરીને મંજૂરી અપાઈ હતી. જ્યારે કલોલના સાંતેજની નાની સિંચાઈ યોજના, ગાંધીનગરના વાસણ તળાવના સુધારણા કામોની વહીવટી મંજૂરી, માણસા અને કલોલના સરકારી પાતાળકુવાઓની વાર્ષિક મરામત માટેના કોન્ટ્રાક્ટને બહાલી અપાઈ હતી. વિપક્ષના નેતાએ ખનીજ ચોરીનો મુદ્દો ઉઠાવીને સવાલોનો મારો ચલાવ્યોમાણસાની 13,051 ચો.મી. સરકારી પડતર જમીનને ગુલાબપુરા ગ્રામ પંચાયતમાં ગામતળ માટે ભેળવવાનો મુદ્દો પણ મંજૂર કરાયો હતો. આ મુદ્દાઓ બાદ વિપક્ષના નેતા અજિતસિંહ રાઠોડે ખનીજ ચોરીનો મુદ્દો ઉઠાવીને સવાલોનો મારો ચલાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે, જિલ્લાના ગાંધીનગર, માણસા અને દહેગામ તાલુકાઓમાં નદીમાંથી રેતી અને માટીની બેફામ ચોરી થઈ રહી છે. જેનાથી પંચાયતની આવકને મોટો ફટકો પડે છે. રેતી-કાંકરીની મળતી ગ્રાન્ટ સામે અનેકગણી રેતી નદીઓમાંથી ઉલેચી લેવાય છે. જો આ ચોરી રોકવામાં આવે તો પંચાયતની આવક ચારગણી થઈ શકે. ભૂસ્તર તંત્રએ રેડ પાડવાના બદલે લેખિત ફરિયાદ આપવા જણાવ્યું તેમણે આક્ષેપ કર્યો કે, આ ષડયંત્રમાં તંત્રની સંઠગાંઠ છે અને મહિનાનો રૂપિયા 25 લાખનો હપ્તો લેવામાં આવે છે. ત્યારે શાસક પક્ષના સભ્યોએ પણ આ હપ્તાખોરીની વાતમાં સૂર પુરાવ્યો હતો. તંત્ર દ્વારા માત્ર રોડ પરથી નીકળતા વાહનો જ પકડવામાં આવે છે, જે વાસ્તવિક ચોરીના 10મા ભાગ જેટલી પણ નથી. વીડિયો અને ફોટા સહિતની માહિતી મોકલવા છતાં ભૂસ્તર તંત્રએ રેડ પાડવાના બદલે લેખિત ફરિયાદ આપવા જણાવ્યું હતું. 8 હજાર જેટલા ડમ્પર માટીનું ગેરકાયદે વેચાણ થયું હોવાનો આક્ષેપવિપક્ષે અલુવા ગામનો ચોક્કસ કિસ્સો રજૂ કરી જુલાઈ મહિનામાં નદી કાંઠાની સરકારી પડતર જમીનમાંથી 8 હજાર જેટલા ડમ્પર માટીનું ગેરકાયદે વેચાણ થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ખનન સાબરમતી પરના નિર્માણાધિન ઓવરબ્રિજથી માત્ર 100 ફૂટ નજીક સુધી કરાયું છે, જે બ્રિજની સુરક્ષા પર જોખમ ઊભું કરે છે. વધુમાં શાસક પક્ષના સભ્યોએ પણ ફરિયાદ કરી હતી કે ખનીજ ચોરીમાં સંડોવાયેલા ભૂમાફિયાઓ સરપંચોને પણ ગાંઠતા નથી. ડમ્પરો સતત ધૂળ ઉડાડીને પ્રદૂષણ ફેલાવે છે અને પંચાયત દ્વારા બનાવેલા રસ્તાઓ તોડી નાંખે છે. ચોરી પર રોક લગાવવા માટે વિપક્ષ દ્વારા DDO સમક્ષ માગખનીજ ચોરી પર રોક લગાવવા માટે વિપક્ષ દ્વારા DDO સમક્ષ માગ કરાઈ હતી કે, ખનીજ ચોરી રોકવા નદીના પટ્ટમાં સીધી રેડ પાડવી, નદી કાંઠા પરની દરેક ગ્રામ પંચાયતમાં વજન કાંટો મુકાવીને રોયલ્ટીની ચિઠ્ઠી આપવી, વજન કાંટા પર સીસીટીવી કેમેરા મુકાવવા. આ પ્રવૃત્તિ પર રોક લગાવવા માટે સરપંચો, સભ્યો અને અધિકારીઓનું નવું માળખું રચવું.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 9:13 pm

AMC કોમર્શિયલ-રેસિડેન્શિયલ પ્લોટ વેચી 1823 કરોડની કમાણી કરશે:સાયન્સ સિટી, ગોતા, મોટેરા સહિત 15 પ્લોટની જાહેર હરાજી, સોલા-થલતેજ પાસેની જગ્યાનો ભાવ 345 કરોડ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રહેણાંક અને કોમર્શિયલ પ્લોટ વેચાણ કરીને કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવી રહી છે. શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં સાયન્સ સિટી, ભાડજ, હેબતપૂર, ગોતા, મોટેરા, થલતેજ, બોડકદેવ અને સરખેજ સહિતના વિસ્તારોમાં આવેલા રેસીડેન્સિયલ અને કોમર્શિયલ હેતુ માટેના કુલ 15 પ્લોટ જાહેર હરાજીથી વેચાણ કરવાનો નિર્ણય AMCએ લીધો છે. આ પ્લોટના વેચાણથી રૂ. 1823 કરોડ જેટલી આવક મ્યુનિસિપલ કોર્પોરેશનને થાય તેવી શક્યતા છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં આ પ્લોટના વેચાણ કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે છ જેટલા પ્લોટમાં હજી સુધી સંપૂર્ણપણે પઝેશન મળ્યું નથી. જેના માટેની કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. 15 પ્લોટોને વેચાણ કરવાનો નિર્ણય લેવાયોસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ જે કોમર્શિયલ અને રેસીડેન્સિયલ હેતુ બંને માટે હોય છે તેના વેચાણથી કરોડો રૂપિયાની આવક ઊભી થઈ શકે તેમ છે જેના કારણે પશ્ચિમ વિસ્તારમાં આવેલા 15 જેટલા પ્લોટોને વેચાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિસ્પોઝલ ઓફ લેન્ડ અધર પ્રોપર્ટી અંતર્ગત આવનાર રચિત કમિટી દ્વારા કડિયાની કિંમતો નક્કી કરવામાં આવી છે અને જે મુજબ ભાવ નક્કી કરીને પ્લોટને જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવશે. મોટા ક્ષેત્રફળ અને મોંઘા પ્લોટનો 345 કરોડ મૂકવામાં આવ્યોસૌથી મોટા ક્ષેત્રફળ ધરાવતા અને મોંઘા પ્લોટમાં શહેરના સાયન્સ સિટી રોડ પર કોમર્શિયલ હેતુનો સોલા-થલતેજ TP 42 FP 273નો રૂ. 345 કરોડ અને રેસિડેન્સિયલ હેતુનો સોલા-થલતેજ TP 42 FP 258નો રૂ. 306 કરોડનો ભાવ મૂકવામાં આવ્યો છે. સોલા ભાડજ હેબતપુર TP 40 FP 38નો પ્લોટ પણ રૂ. 142 કરોડના જ્યારે ગોતા વિસ્તારમાં પણ રૂ. 140 કરોડનો ભાવનો પ્લોટ વેચાણ માટે મૂકવામાં આવ્યો છે. જેમાં મોટેરા વિસ્તારનો એક પ્લોટ પાર્કિંગ ઝોન અને ફેરિયાઓને ફાળવવામાં આવેલો છે. ગોતા વિસ્તારના પ્લોટમાં 81 ચોરસ મીટરનું પજેસન નથી અને ગાર્ડનની દિવાલનું દબાણ પણ છે. સોલા-ભાડજ-હેબતપુર ટીપીના પ્લોટમાં સુપર રેસિડેન્સી નામની કમ્પાઉન્ડ દિવાલનું પણ દબાણ છે. કુલ 6 જેટલા પ્લોટમાં સંપૂર્ણ પજેશન મળ્યું નથી. AMC રૂ. 1823 કરોડની આવક ઊભી કરશેઅમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનને વિવિધ વિસ્તારોમાં પાણી, ગટર, રોડ, લાઇટ, સ્ટોર્મ વોટર લાઇન, બાગબગીચા, લાયબ્રેરી, સિવિક સેન્ટર, ફાયર સ્ટેશન વગેરે માળખાકીય સુવિધા પૂરી પાડવા તેમજ વિકાસનાં કાર્યો કરવા ટીપી સ્કીમ અંતર્ગત પ્રાપ્ત થયેલા કોમર્શિયલ અને રેસિડેન્શિયલ હેતુના પ્લોટને વેચાણ કરવામાં આવતાં હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લોટનું વેચાણ કરી 1800 કરોડથી વધુની આવક ઊભી કરવામાં આવનાર છે. આ ઉપરાંત પશ્ચિમ વિસ્તારના જ બીજા 10થી વધુ પ્લોટો વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. જાહેર હરાજી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. કોર્પોરેશનની વેબસાઈટ પર 10 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી કંપનીઓ કે બિલ્ડરો રજીસ્ટ્રેશન અને બીડ ભરી શકાશે. 27 અને 28 નવેમ્બરના રોજ ઓનલાઈન ઇ ઓકશન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 9:12 pm

વેરાવળ-સોમનાથમાં 18 કિમી બિસ્માર રસ્તાઓની કાયાપલટ:મુખ્યમંત્રીની સૂચના બાદ પાલિકા તંત્રએ કામગીરી તેજ કરી

વેરાવળ-સોમનાથ જોડિયા શહેરમાં લાંબા સમયથી બિસ્માર માર્ગોની સમસ્યાથી શહેરીજનો પરેશાન હતા. આ સમસ્યાના નિરાકરણ માટે પાલિકા તંત્ર દ્વારા શહેરના 18 કિલોમીટર રસ્તાઓના સમારકામ અને નવા બનાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. પાલિકાના શાસકો અને અધિકારીઓએ દાવો કર્યો છે કે આનાથી લોકોને વહેલી તકે રાહત મળશે. પાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની અને બાંધકામ સમિતિના ચેરમેન દિક્ષીતાબેન અઢીયાએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે દિવાળી બાદ કાર્તિકી પૂર્ણિમા સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. દશેરા આસપાસ નવા રસ્તા બનાવવા અને બિસ્માર માર્ગોના સમારકામનું આયોજન કરાયું હતું, પરંતુ સતત વરસાદને કારણે કામગીરી શરૂ થઈ શકી ન હતી. વાતાવરણ સ્વચ્છ બનતા રૂ. 25 કરોડના ખર્ચે નવા રસ્તાઓ બનાવવા અને બિસ્માર માર્ગોના સમારકામનું અમલીકરણ હાથ ધરાયું છે. આ યોજના અંતર્ગત, રૂ. 13 કરોડના ખર્ચે શહેરના પ્રવેશદ્વાર 'નમસ્તે' થી બજાજ શોરૂમ સુધી આઇકોનિક ફોરલેન રોડ બનાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, શહેરની ગલીઓ અને શેરીઓમાં 14 કિલોમીટરના સીસી, પેવર બ્લોક અને ડામરના નવા રસ્તાઓ પણ બનાવવામાં આવશે. હાલ શહેરમાં રસ્તાઓના સમારકામ અને નવા રસ્તા બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા દરરોજ તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ વખતે ડસ્ટ-ફ્રી શેરી-ગલીના રસ્તાઓ બનાવવા માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે, જેમાં વોલ-ટુ-વોલ રસ્તાઓ બનાવાઈ રહ્યા છે જેથી રસ્તાની બંને બાજુ ધૂળ જમા ન થાય. આ કામગીરી અંગે ચીફ ઓફિસર પારસ મકવાણા અને મ્યુનિસિપલ એન્જિનિયર ભગીરથસિંહ પઢીયારએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અને પ્રાદેશિક કમિશનરના માર્ગદર્શન મુજબ, જોડિયા શહેરમાં ગેરંટી પીરિયડવાળા રસ્તાઓની સ્થિતિ અને તૂટેલા રસ્તાઓનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં જાણવા મળ્યું કે, ગેરંટી પીરિયડવાળા અંદાજે 10 કિલોમીટરના રસ્તાઓ સારી સ્થિતિમાં છે, જ્યારે 18 કિલોમીટરના રસ્તાઓ તૂટેલા અને બિસ્માર હાલતમાં હતા. આ 18 કિલોમીટરના રસ્તાઓના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં 12 કિલોમીટરના રસ્તાઓનું સમારકામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે બાકીના 6 કિલોમીટરનું કામ પ્રગતિમાં છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 9:08 pm

અનેક અનિયમિતતાઓ સામે કોંગ્રેસની રજુઆત:ડુપ્લીકેટ મતદારો, ડિમોલિશન પછીના મતદાર હક અને પરપ્રાંતીય નામોની તપાસની માંગ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આજે મુખ્ય નિર્વાચન અધિકારી હારિત શુકલાને રાજ્યની મતદારયાદીમાં વધી રહેલી ગેરરીતીઓ અંગે વિગતવાર રજુઆત કરી છે. કોંગ્રેસે માંગ કરી છે કે, ચૂંટણીને નિષ્પક્ષ અને પારદર્શક બનાવવા તાત્કાલિક સઘન તપાસ અને સુધારણા પગલાં લેવામાં આવે. ડુપ્લીકેટ મતદારો અંગે ગંભીર સવાલકોંગ્રેસે જણાવ્યું કે, ઘણા લોકોને બે અલગ વિધાનસભા ક્ષેત્રોમાં અથવા ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ મતદાર તરીકે દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસની માંગણીએક જ વ્યક્તિનાં બે નામ શોધવા માટે અસરકારક ટેકનોલોજીનો ઉપયોગ ડુપ્લીકેટ મતદારોને નોટિસ આપવીમતદાર યાદીને શુદ્ધ બનાવી નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવી. ડિમોલિશન બાદ સ્થળાંતરિત રહેવાસીઓની સમસ્યા ઊભી થશે. શહેરોમાં મોટા પ્રોજેક્ટ અને દબાણ હટાવવાની કાર્યવાહી બાદ રહેવાસીઓને નવી જગ્યાએ ખસેડવામાં આવ્યા છે, છતાં મતદારયાદીમાં એમનાં જૂના સરનામા જ દર્શાવાયા છે. કોંગ્રેસે પ્રશ્ન કર્યો કે, આવા વિસ્તારોમાં કેમ કેમ્પ યોજાયા નથી? EWS અથવા ફાળવેલા મકાનોમાં રહેનારા લોકોને નવી જગ્યાએ મતદાર તરીકે નોંધવા માટે શું કાર્યવાહી થઈ છે? પરપ્રાંતીયોનું નામ બે રાજ્યોમાં ચાલવાનો મુદ્દોબિહાર, યુપી, ઓરિસ્સા સહિતના હજારો પરપ્રાંતીયો મૂળ રાજ્યની યાદીમાં નામ ધરાવતા હોવા છતાં ગુજરાતની ઔદ્યોગિક વસાહતોમાં પણ મતદાર તરીકે નોંધાયા હોવાનું કોંગ્રેસે જણાવ્યું. રજુઆત અનુસાર, એમનાં મૂળ રાજ્યની મતદાર યાદી સાથે ક્રોસ-વેરિફિકેશન ફરજિયાત કરવું. એક વ્યક્તિનું નામ માત્ર એક જ રાજ્યમાં રહે એ સુનિશ્ચિત કરવું NRI–OCI મતદારોવિદેશમાં વર્ષોથી સ્થાયી કુટુંબોના નામો આજે પણ મતદાર યાદીમાં જોવા મળે છે, જેની તાત્કાલિક તપાસ કરવાની માંગ કોંગ્રેસે કરી છે. કોંગ્રેસે મુખ્ય નિર્વાચન અધિકારીને તમામ મુદ્દાઓ પર ઝડપી અને યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે જેથી રાજ્યની ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ, પારદર્શક અને બંધારણીય મૂલ્યો મુજબ રહી શકે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 9:07 pm

દરૂણીયા ગામે નેશનલ હાઈવે પર સ્પીડ બ્રેકર મુકવાની માંગ:શાળાના બાળકો જીવના જોખમે હાઈવે ક્રોસ કરવા મજબૂર, અકસ્માતનો ભય અને જીવનું જોખમ

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના દરૂણીયા ગામની પ્રાથમિક શાળાના બાળકો માટે શિક્ષણ મેળવવું જોખમી બન્યું છે. શાળાએ જવા માટે આશરે 200 જેટલા નાના ભૂલકાઓને વ્યસ્ત અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવે ક્રોસ કરવો પડે છે, જેના કારણે વાલીઓ અને બાળકોમાં અકસ્માતનો સતત ભય રહે છે. દરૂણીયા પ્રાથમિક શાળામાં દરૂણીયા ઢોલી ફળિયા અને સબાસપુરા વિસ્તારમાંથી અંદાજે 150 થી 200 જેટલા બાળકો અભ્યાસ માટે આવે છે. આ વિસ્તારો અને શાળાની વચ્ચે ધમધમતો અમદાવાદ-ઇન્દોર હાઈવે પસાર થાય છે. આ હાઈવે પર દિવસ દરમિયાન વાહનોની સતત અને ઝડપી અવરજવર રહે છે. નાના બાળકો માટે આ રોડ ક્રોસ કરવો અત્યંત મુશ્કેલ અને જોખમી સાબિત થઈ રહ્યો છે. ઘણીવાર બાળકો ટ્રાફિકની ગંભીરતા સમજ્યા વગર રોડ પર દોડી જાય છે, જેનાથી ગંભીર અકસ્માતનો ભય રહે છે. આ સમસ્યાને લઈને શાળાના વિદ્યાર્થી મિતકુમાર ઢોલીએ એક વીડિયો મારફતે માંગ કરી છે. તેણે કહ્યું કે, અમારા માટે રોડ ક્રોસ કરવો ખૂબ અઘરો છે, વાહનો ખૂબ ઝડપથી આવે છે. જો અહીં બમ્પ મૂકવામાં આવે તો વાહનો ધીમા પડે અને અમે સુરક્ષિત રીતે શાળાએ જઈ શકીએ અને અમારો અભ્યાસ કરી શકીએ. સ્થાનિક રહીશો અને વાલીઓની પણ માંગ છે કે તંત્ર દ્વારા સત્વરે આ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવે. તેઓ શાળા નજીક હાઈવે પર સ્પીડ બ્રેકર અથવા ડિવાઈડર મૂકવાની અપીલ કરી રહ્યા છે, જેથી કોઈ માસૂમ બાળક અકસ્માતનો ભોગ ન બને.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 8:57 pm

લાંચના કેસમાં 2 આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર:અમદાવાદના નહેરુ બ્રિજ ખાતે આરોપી 1.44 લાખની લાંચ લેતા ઝડપાયા હતા

ACBમાં ફરિયાદ કરનાર ગિફ્ટ આર્ટિકલ સપ્લાય કરવાનું કામ કરે છે. અને આરોપી રોશન કુમાર ભુરીયા SRP ગૃપ 5 ગોધરાની ધી કર્મચારી ધીરાણ ગ્રાહક સહકારી મંડળીનાં મંત્રી છે. ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહીનામાં આરોપીએ પોતાની મંડળીનાં સભાસદોને વાર્ષીક ભેટ આપવા માટે 670 નંગ ગિફ્ટ આર્ટિકલ્સનો ફરિયાદીને ઓર્ડર આપેલ હતો અને જે-તે વખતે આરોપીએ થોડો ઘણો વ્યવહાર કરવો પડશે તેમ જણાવેલ હતું. ફરિયાદી પાસે 2.51 લાખ રૂપિયા લાંચની માંગણી કરી હતી13 સપ્ટેમ્બરના રોજ ફરિયાદીએ ઓર્ડર મુજબનાં ગિફ્ટ આર્ટિકલ્સ મોકલી આપેલ હતા અને ફરિયાદી દ્વારા તે અનુસંધાને 8.37 લાખનું ચુકવણું કરી દીધેલ હતું. પરંતુ ચુકવણું કર્યાબાદ રોશન ભૂરિયાએ ફરિયાદી પાસે બીલની કુલ રકમનાં 30 % લેખે 2.51 લાખ રૂપિયા લાંચની માંગણી કરતાં ફરિયાદી દ્વારા રકઝક કરી રોશન ભુરીયાના કહેવાથી 15 સપ્ટેમ્બરના રોજ સહ આરોપી અને AMCમાં કોન્ટ્રાક્ટ બેઝ કામ કરતા પ્રિન્સ ડામોરને 97 હજાર રૂપિયા રોકડા આપેલ હતા અને 1.44 લાખ આપવાનો આપવાનો વાયદો થયેલ હતો. કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાપરંતુ ફરિયાદી આ લાંચના નાણાં આપવા ઇચ્છતા ન હોઇ ACB કચેરીનો સંપર્ક કરી ફરિયાદ આપતા, ACB લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું અને લાંચનાં છટકા દરમિયાન પ્રિન્સ ડામોર નહેરુબ્રિજ નેપ્ચ્યુન હાઉસ ખાતે લાંચના નાણાં સ્વીકારી રંગેહાથ પકડાઇ ગયા હતા. આરોપીઓને અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે રજૂ કરી રિમાન્ડની માંગ કરતા કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 8:56 pm

સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા ખાતે DHEW કાર્યક્રમ યોજાયો:કન્યાઓને સરકારી યોજનાઓની માહિતી અપાઈ, તેજસ્વી કન્યાઓનું સન્માન કરાયું

ગોધરા, પંચમહાલ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા 'સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન' (DHEW) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગોધરાની સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા ખાતે યોજાયો હતો, જેમાં કન્યાઓને સરકારી યોજનાઓ વિશે માહિતગાર કરાઈ અને તેજસ્વી કન્યાઓનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન શાળાની કન્યાઓને સરકારની મહિલાલક્ષી અને બાળલક્ષી વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. મહેશભાઈ કામરોલા દ્વારા કન્યાઓએ રાખવાની કાળજી, મોબાઈલના સદુપયોગ, 181 અભયમ મહિલા હેલ્પલાઇન, 1098 બાળ હેલ્પલાઇન અને 112 જન રક્ષક જેવી ઉપયોગી સેવાઓ વિશે સમજૂતી અપાઈ હતી. આ ઉપરાંત, સખી વન સ્ટોપ સેન્ટર, ગોધરા દ્વારા થતી કામગીરીની વિગતો શીતલબેન પારેખે રજૂ કરી હતી. કાર્યક્રમમાં શાળાની 28 તેજસ્વી કન્યાઓને સન્માનિત કરવામાં આવી હતી. પરીક્ષામાં પ્રથમ-દ્વિતીય સ્થાન મેળવનાર, CET પરીક્ષા પાસ કરનાર, ખેલ મહાકુંભ, વિજ્ઞાન પ્રદર્શન અને વિવિધ સ્પર્ધાઓના વિજેતા કન્યાઓને અધિકારીઓના હસ્તે સ્કૂલ બેગ કીટ અને ડેસ્ક (ઢાળીયા) ઇનામ સ્વરૂપે વિતરણ કરાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ગોધરાના જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર મહેશભાઈ કામરોલા, સખી વન સ્ટોપ સેન્ટર ગોધરાના કેસ વર્કર શીતલબેન પારેખ અને પેરા મેડિકલ સ્ટાફ લક્ષ્મીબેન ડામોર ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના અંતે નશામુક્ત ભારત અંતર્ગત પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. શાળાના આચાર્ય ભારતસિંહ સોલંકીએ સૌને આવકારી કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના બાળકો, સ્ટાફ અને કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 8:51 pm

ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રનું જામનગરમાં આગમન:ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને વાહનોના કાફલા સાથે 'વનતારા' ખાતે જવા રવાના થયા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર તેની ગર્લફ્રેન્ડ સાથે આજે રાત્રે જામનગર આવી પહોંચ્યા હતા. તેઓ સાંજે 7:30 વાગ્યા બાદ જામનગર એરપોર્ટ પર ઉતર્યા હતા. એરપોર્ટ પરથી તેઓ રિલાયન્સ દ્વારા સંચાલિત 'વનતારા' પ્રોજેક્ટ ખાતે જવા રવાના થયા હતા. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને વાહનોનો મોટો કાફલા સાથે તેઓ વનતારા ખાતે જવા રવાના થયા હતા. વનતારા પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર જામનગર આવતા પહેલા પહેલીવાર તાજમહેલની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ડાયના બેન્ચ પર તેમની ગર્લફ્રેન્ડ સાથે ફોટો પડાવ્યો હતો. તેમજ મુઘલ સમ્રાટ શાહજહાં અને તેમની પત્ની મુમતાઝ મહેલની કબરની પણ મુલાકાત લીધી. તેમણે તાજમહેલ સંકુલમાં લગભગ 45 મિનિટ વિતાવી હતી. તેમની ગર્લફ્રેન્ડ લાલ રંગના પશ્ચિમી ડ્રેસમાં જોવા મળી, જ્યારે ટ્રમ્પ જુનિયર સફેદ પોશાકમાં જોવા મળ્યા.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 8:34 pm

પનીર અને ઘીના નામે આરોગ્ય સાથે ખીલવાડ:SMCના દરોડામાં 6 પેઢીના નમૂના 'ફેલ', સંસ્થાઓ સામે મ્યુનિસિપલ કોર્ટમાં કેસ નોંધાશે

સ્વાદના શોખીન સુરતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જો તમે બહારનું પનીર, ચીઝ કે બજારમાં મળતું ઘી વાપરતા હોવ તો સાવધાન થઈ જજો. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં ચાલતા ભેળસેળના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવાયેલા પનીર એનાલોગ, ચીઝ એનાલોગ અને ઘીના 6 જેટલા નમૂનાઓ લેબોરેટરી ટેસ્ટમાં 'ફેલ' એટલે ખાવા માટે અયોગ્ય જાહેર થયા છે. વિવિધ સંસ્થાઓમાંથી લીધેલા નમૂના પૃથ્થકરણ માટે મોકલાયાસુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હેલ્થ અને ફુડ વિભાગના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં 3 નવેમ્બર 2025થી 15 નવેમ્બર 2025 દરમિયાન એક વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં વેચાતા શંકાસ્પદ પનીર અને ચીઝ એનાલોગ તેમજ ઘીની ગુણવત્તા ચકાસવાનો હતો. આ કામગીરી દરમિયાન ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા વિવિધ સંસ્થાઓમાંથી નમૂના લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પૃથ્થકરણ એટલે એનાલિસિસ માટે મોકલવામાં આવ્યા હતા. આ 6 પેઢીઓના નમૂના ફેલ ગયાપબ્લિક હેલ્થ લેબોરેટરીના રિપોર્ટ અનુસાર, નીચે મુજબની 6 સંસ્થાઓના ખાદ્ય પદાર્થો 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006' મુજબ ફેલ જણાયા છે: 33 કિલો જથ્થો સીઝ કરાયોપાલિકાની ટીમે માત્ર નમૂના જ લીધા ન હતા, પરંતુ સ્થળ પરથી શંકાસ્પદ જણાતો આશરે 33 કિલોગ્રામ જેટલો ચીઝ એનાલોગનો જથ્થો પણ સીઝ કર્યો છે જેની અંદાજિત કિંમત રૂ. 10,080 થાય છે. સુરત મહાનગરપાલિકાએ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી આ સંસ્થાઓ સામે કડક વલણ અપનાવ્યું છે. ફેલ જાહેર થયેલા નમૂનાઓ મામલે જવાબદાર ઇસમો અને સંસ્થાઓ સામે મ્યુનિસિપલ કોર્ટ, સુરતમાં ફોજદારી રાહે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પાલિકાની આ કાર્યવાહીને પગલે ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે ગ્રાહકોએ ખાસ કરીને ડેરી પ્રોડક્ટ્સ ખરીદતી વખતે અત્યંત સાવધ રહેવાની જરૂર છે અને બ્રાન્ડેડ તથા ભરોસાપાત્ર જગ્યાએથી જ ખરીદીનો આગ્રહ રાખવો જોઈએ.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 8:30 pm

લીમખેડામાં ભાજપને મોટો ઝટકો:તાલુકા ભાજપ યુવા મોરચાના પૂર્વ મંત્રી રાકેશ ભરવાડે ભાજપ છોડી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો

દાહોદ જિલ્લાના રાજકારણમાં ગરમાવાની સાથે હલચલ મચી ગઈ છે. લીમખેડા તાલુકા ભાજપ યુવા મોરચાના પૂર્વ મંત્રી અને ભરવાડ સમાજના યુવા નેતા રાકેશ ભરવાડે ભાજપ છોડી આમ આદમી પાર્ટી (AAP) નો ખેસ ધારણ કર્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશ બારીયાની હાજરીમાં રાકેશ ભરવાડનું પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. રાકેશ ભરવાડ લીમખેડા તાલુકા માલધારી સેનાના પ્રમુખ અને દાહોદ જિલ્લા ગૌરક્ષા સમિતિના સંયોજક જેવા મહત્વના પદો પર પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે, જે તેમની સમાજમાં મજબૂત પકડ દર્શાવે છે. આગામી તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ દાહોદ જિલ્લામાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. ધારાસભ્ય ચૈતર વસાવાની ડુંગરી અને કતવારાની જનસભાઓમાં ઉમટેલી ભીડ બાદ ભરવાડ સમાજના આ મોટા યુવા ચહેરાનું AAPમાં જોડાવું એ પાર્ટીની વધતી તાકાતનો સંકેત આપે છે. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ રાકેશ ભરવાડે જણાવ્યું હતું કે, નાનપણથી હું ભાજપમાં હતો, પણ આજની ભાજપ ગરીબો, યુવાનો, ખેડૂતો અને બેરોજગારોના પ્રશ્નો ભૂલી ગઈ છે. આમ આદમી પાર્ટી જ ખરેખર વંચિતો-શોષિતોની પાર્ટી છે. તેમણે દાહોદ જિલ્લામાં AAP ને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાએ દાહોદ જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચાવી દીધી છે અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો વધાર્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:58 pm

રાહત પેકેજના ફોર્મ ભરવાના નામે ખેડૂતો પાસેથી ઉઘરાણું:જૂનાગઢમાં નિઃશુલ્ક ફોર્મ ભરવાના નામે ખેડૂતો પાસેથી ૫૦ રૂપિયા વસૂલાયા; વીસીના ID-પાસવર્ડના દુરુપયોગની ગંભીર શંકા

એક તરફ કમોસમી વરસાદ અને માર્કેટના નીચા ભાવે ખેડૂતોની હાલત કફોડી બની છે, ત્યારે બીજી તરફ જૂનાગઢ જિલ્લામાં ખેડૂતો માટે જાહેર કરાયેલા રાહત પેકેજની સહાય મેળવવાના ફોર્મ ભરવાના નામે ગેરરીતિ અને ઉઘરાણાની ગંભીર ઘટના સામે આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ સહાય પ્રક્રિયા સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવાના આદેશનું અહીં સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે. જૂનાગઢના ચોરવાડી અને માનપુર ગામના ખેડૂતોએ સીધા આક્ષેપો કર્યા છે કે, બિલખા ગામ ખાતે એક ખાનગી દુકાનમાં બેસીને તેમના પાસેથી પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે. આ ઘટનાએ વહીવટી તંત્રમાં ભારે વિવાદ સર્જ્યો છે, કારણ કે રાહત પેકેજના ઓનલાઈન ફોર્મ ભરવા અને તેની પ્રક્રિયા માટે જરૂરી આઈડી અને પાસવર્ડ માત્ર ગ્રામ પંચાયતના વીસી (વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર) પાસે જ હોય છે. ખાનગી દુકાનમાં કોની મદદથી અને કયા આધાર પર આ સરકારી કામગીરી ચાલી રહી હતી, તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. જેનાથી વીસીના આઈડી-પાસવર્ડના દુરુપયોગની ગંભીર શંકા વ્યક્ત થઈ રહી છે. ખેડૂતોની લાચારીનો ફાયદો ઉઠાવીને પૈસા વસૂલવાની આ ઘટનાથી ખેડૂતોમાં પણ વ્યાપક આક્રોશ ફેલાયો છે. ખેડૂતો પાસેથી રૂપિયા 50 લેવાયા હોવાના ગંભીર આક્ષેપોનિયમ મુજબ ગ્રામ પંચાયતના વીસીની ફરજ છે કે તેઓ ખેડૂતોના સહાયના ઓનલાઈન ફોર્મ કોઈપણ પ્રકારની ફી લીધા વિના, સંપૂર્ણપણે મફતમાં ભરી આપે. જોકે, ચોરવાડી અને માનપુર ગામના ખેડૂતોના સહાયના ફોર્મ વીસીને બદલે બિલખા ગામની એક ઝેરોક્ષ દુકાનમાં ભરાતા હતા અને ખેડૂતો પાસેથી રૂપિયા 50 લેવાયા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. તલાટી મંત્રીએ ઝેરોક્ષ દુકાનમાં ઓનલાઈન પ્રક્રિયા સૂચન કર્યુંચોરવાડી ગામના ખેડૂત મયુર જોટંગીયાએ સમગ્ર મામલો ઉજાગર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, તેઓ તેમના ખેતરના 7/12 અને પાણી પત્રક સંબંધિત કામકાજ માટે ગામના તલાટી મંત્રી પાસે ગયા હતા. જ્યાં તલાટી મંત્રી બંસીબેને તેમને કહ્યું કે, આપણા ગામમાં વીસી નથી, માટે માનપુર ગામના વીસી અથવા બિલખાની પટેલ ઝેરોક્ષ દુકાનમાં ઓનલાઈન પ્રક્રિયા થશે. તલાટી મંત્રીના કહેવા પર મયુરભાઈ બિલખાની પટેલ ઝેરોક્ષમાં ગયા, જ્યાં ઓનલાઈન કામગીરી કરાવતા તેમની પાસેથી રૂપિયા 50 ફી વસૂલવામાં આવી. ખેડૂત મયુર જોટંગીયાએ આ અંગે પોતાના ગામના વોટ્સએપ ગ્રુપમાં પણ જાણ કરીને વિરોધ નોંધાવ્યો હતો કે આ રીતે પૈસા લેવા તે યોગ્ય નથી. વીસીનો ID, પાસવર્ડ ખાનગી વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચ્યો?ખેડૂતોએ સવાલ ઉઠાવ્યો છે કે, જ્યારે તલાટી મંત્રી બંસીબેન પોતે કહે છે કે ગામમાં વીસી હાજર નથી, અને ફોર્મ ભરવાના દિવસો પણ ટૂંકા છે, તો ખેડૂતોએ ક્યાં જવું? વીસી હાજર ન હોય તો પણ સરકારી કામગીરી ખાનગી દુકાનમાં અને પૈસા લઈને કેવી રીતે થઈ શકે? તલાટી મંત્રીએ ખાનગી દુકાનનું નામ આપીને જાણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિને પ્રોત્સાહન આપ્યું હોવાનું સ્પષ્ટ જણાય છે. આ સમગ્ર મામલે જૂનાગઢના વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસમાં ગ્રામ પંચાયતના વીસીનો આઈડી અને પાસવર્ડ ખાનગી વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચ્યો, અને ખેડૂતોની સહાયના નામે પૈસા પડાવવાની આ ગેરરીતિમાં કોણ કોણ સામેલ છે તે બહાર આવે તેવી શક્યતા છે. 'ગેરરીતિમાં સંડોવાયેલા લોકો સામે નિયમ મુજબ કાર્યવાહી થશે'આ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી રાજેન્દ્રકુમાર ઠાકોરે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. TDO રાજેન્દ્ર ઠાકોરે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગ્રામ પંચાયતના વીસી (VCE) કે અન્ય કોઈપણ ખાનગી જગ્યાએ ખેડૂતો પાસેથી રાહત પેકેજના ફોર્મ ભરવા બદલ પૈસા ઉઘરાવી શકાતા નથી, કારણ કે આ કામગીરી સંપૂર્ણપણે નિઃશુલ્ક હોય છે. તેમણે ખાતરી આપી છે કે તપાસનો રિપોર્ટ મળ્યા બાદ આ ગેરરીતિમાં સંડોવાયેલા દુકાન સંચાલક અને વીસી સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં, જ્યાં વીસીની ગેરહાજરીના કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી હતી, તેવા ગામોના ખેડૂતો માટે રાહત પેકેજના ફોર્મ ભરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાની ખાતરી પણ TDO દ્વારા આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:39 pm

પોરબંદરમાં આઠ ગામોમાં PGVCLની કોર્પોરેટ વીજચેકિંગ ડ્રાઇવ:46 કનેક્શનમાં વીજચોરી પકડાઈ, ₹15.65 લાખનો દંડ

બગવદર અને મજીવાણા સબ ડિવિઝન હેઠળના આઠ ગામોમાં કોર્પોરેટ વીજચેકિંગ ડ્રાઇવ યોજાઈ હતી. આ ડ્રાઇવ દરમિયાન 400 વીજ કનેક્શનમાંથી 46માં વીજચોરી પકડાઈ હતી, જેના પગલે ₹15.65 લાખના દંડાત્મક બિલો જારી કરવામાં આવ્યા છે. આ મેગા ડ્રાઇવ દેગામ, બખરલા, પાંડવદર, ખિસ્ત્રી, અડવાણા, ફટાણા, મજીવાણા અને બગવદર ગામોમાં હાથ ધરવામાં આવી હતી. કુલ 18 વિશેષ ટીમો દ્વારા આ કાર્યવાહીમાં 400 જેટલા વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, 46 કનેક્શનમાં ગેરકાયદેસર વીજચોરી થતી હોવાનું સામે આવ્યું હતું. વીજચોરીના આ કિસ્સાઓમાં તાત્કાલિક કાર્યવાહી કરીને આશરે ₹15.65 લાખના દંડાત્મક બિલો ઇશ્યૂ કરવામાં આવ્યા છે. વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કડક ચેકિંગ ડ્રાઇવનો હેતુ વિસ્તારમાં વીજચોરી અટકાવવા અને વીજ વપરાશમાં નિયમિતતા લાવવાનો છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:39 pm

AMCને વર્લ્ડ બેંક રૂપિયા 125 કરોડની વધારાની લોન આપશે:તાજ સ્કાયલાઇન, ITC નર્મદા સહિતની 20 ફાઇવ સ્ટાર હોટલો પર વધારાનો વોટર વેસ્ટેજ ચાર્જ નાખવામાં આવ્યો

અમદાવાદ શહેરમાં નવા STP બનાવવા તેમજ હયાત STPને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ધારા ધોરણ મુજબ સુધારા-વધારા કરવા તેમજ ડ્રેનેજ લાઈનો સુધારવા માટે વર્લ્ડ બેંક તરફથી લોન આપવામાં આવી રહી છે. જોકે, વર્લ્ડ બેંકની શરતો પ્રમાણે ગ્રાન્ટ મેળવવા માટે દરરોજ 10 KLDથી વધુ વોટર વેસ્ટેજ ઉત્પન્ન કરતી શહેરની 20થી વધુ ફાઇવ સ્ટાર હોટલો પાસેથી વોટર વેસ્ટેજ ચાર્જ વસૂલવામાં આવશે. શહેરની તાજ સ્કાયલાઈન, ITC નર્મદા, હયાત રેસિડેન્સી, રેડિસન બ્લુ, ક્રાઉન પ્લાઝા અને રેનિસેન સહિતની 20 હોટલોને વોટર વેસ્ટેજ ચાર્જ ચૂકવવો પડશે. જેથી આ હોટલોને વાર્ષિક બિલમાં 1.50થી 2લાખ રૂપિયા જેટલો વધારો થઈ શકે છે. 20 લક્ઝૂરિયસ હોટલો વધારાનો વોટર વેસ્ટેજ ચાર્જ ચૂકવવો પડશેસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, વર્લ્ડ બેંક તરફથી 3,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે લોન આપવામાં આવી રહી છે, જેની શરત મુજબ હોટલો ઉપર વધારાનો વોટર વેસ્ટેજ ચાર્જ નાખવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં 20 જેટલી લક્ઝૂરિયસ હોટલો આવેલી છે જે ડ્રેનેજનું પાણી બહાર કાઢે છે, ત્યારે આજે 20 નવેમ્બરના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 10 KLD કરતાં વધારે પાણી ડિસ્ચાર્જ કરશે તેમને વધારાનો વોટર વેસ્ટેજ ચાર્જ ચૂકવવાનો રહેશે. જેનાથી વર્લ્ડ બેંક દ્વારા આપવામાં આવતી લોનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ. 125 કરોડ વધારે આપવામાં આવશે. હોટલોને વાર્ષિક રૂપિયા એકથી બે લાખ વધુ ચૂકવવાના રહેશેઆ વોટર વેસ્ટેજ ચાર્જની ગણતરી પાણીના વપરાશના આધારે કરવામાં આવશે અને તેમની પાસેથી વસુલ કરવા માટે વર્ષ 2026-27ના બિલમાં સમાવેશ કરવામાં આવશે. જેથી આ હોટલો પર વાર્ષિક એકથી બે લાખ રૂપિયા વધુ ચૂકવવાના રહેશે. કોર્પોરેશનને વર્લ્ડ બેંકની ગ્રાન્ટ માટે શરતો મુજબ આ વોટર વેસ્ટેજ ચાર્જ વધારવાની જરૂરિયાત ઊભી થઈ છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:38 pm

ઇડરીયો ગઢ પર રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધા:જાન્યુઆરીમાં યોજાશે, 15 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે; ટોપ 10 ગિરનાર જશે

સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધા આગામી જાન્યુઆરી માસમાં યોજાશે. આ સ્પર્ધા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે 15 ડિસેમ્બર, 2025 સુધી ચાલશે. ગત વર્ષે 300થી વધુ યુવક-યુવતીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ગાંધીનગર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ પ્રેરિત તથા સાબરકાંઠા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા આ રાજ્યકક્ષાની ઇડરીયો ગઢ આરોહણ-અવરોહણ (જુનિયર) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં 31 ડિસેમ્બર, 2025ના રોજ 14 થી 18 વર્ષની વયમર્યાદા (01-01-2008 થી 31-12-2012 વચ્ચે જન્મેલા) ધરાવતા યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. સ્પર્ધામાં 1 થી 10 ક્રમમાં આવનાર યુવક-યુવતીઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત, તેમને રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે મોકલવામાં આવશે. સ્પર્ધકોએ સ્થળ પર આવવા-જવાનો ખર્ચ સ્વયં ભોગવવાનો રહેશે. ભાગ લેવા ઈચ્છુક યુવક-યુવતીઓએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ક્રિષ્ના હોસ્પિટલ કમ્પાઉન્ડ, સબ જેલ રોડ પાસે, હિંમતનગર ખાતેથી અરજી ફોર્મ મેળવી શકાશે. શાળા-કોલેજમાં અભ્યાસ કરતા સ્પર્ધકોએ પ્રવેશપત્ર પર શાળા-કોલેજના સહી-સિક્કા કરાવવા ફરજિયાત છે. જેઓ અભ્યાસ કરતા નથી, તેમણે ચેરીટી કમિશનરમાં નોંધાયેલા મંડળોના સહી-સિક્કા કરાવવાના રહેશે. ભરેલા અરજી ફોર્મ તમામ જરૂરી આધાર-પુરાવા સાથે 15 ડિસેમ્બર, 2025 સુધીમાં ઉપરોક્ત સરનામે મોકલી આપવાના રહેશે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:37 pm

આદિત્યાણામાં POCSO એક્ટ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો:પોરબંદર જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા આયોજન

પોરબંદર જિલ્લા મહિલા અને બાળ અધિકારી એચ.બી. ટાઢાણીના માર્ગદર્શન હેઠળ રાણાવાવ તાલુકાની ઉચ્ચતર માધ્યમિક શાળા, આદિત્યાણા ખાતે POCSO એક્ટ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજના અંતર્ગત યોજાયો હતો. આ જાગૃતિ કાર્યક્રમમાં શાળાની આશરે 100 જેટલી કિશોરી વિદ્યાર્થીનીઓને સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ (Safe Unsafe Touch) તેમજ POCSO કાયદાની જોગવાઈઓ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લા બાળ સુરક્ષા એકમના કાઉન્સિલર મહેશભાઈ પરમારે વિદ્યાર્થીનીઓને POCSO એક્ટની વિગતવાર માહિતી આપી હતી. તેમણે ‘સેફ અને અનસેફ ટચ’ વિષયને સરળ ઉદાહરણો સાથે સમજાવ્યો હતો, જેથી વિદ્યાર્થીનીઓને જોખમી પરિસ્થિતિઓને ઓળખવામાં મદદ મળી શકે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત 100 વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન રૂપે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન “સંકલ્પ” DHEWની ટીમ અને શાળાના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પહેલ બાળકોની સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા અને કાયદાકીય જ્ઞાન વધારવામાં અત્યંત ઉપયોગી સાબિત થઈ હતી. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર, “સંકલ્પ” DHEW ના ડો. સંધ્યાબેન જોશી, “સંકલ્પ” DHEW જેંડર સ્પેશિયાલિસ્ટ ચિરાગ દવે, “સંકલ્પ” DHEW પ્રતિનિધિ રાજેશ ટાંક, જિલ્લા બાળ સુરક્ષા એકમ કાઉન્સિલર મહેશભાઈ પરમાર, જિલ્લા બાળ સુરક્ષા એકમ પ્રતિનિધિ કિશોરભાઈ જોશી તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા, આદિત્યાણાના આચાર્યશ્રી અને સીનીયર શિક્ષિકા લીલુબેન સહિત શાળાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:35 pm

ગોધરામાં આપદામિત્રોને ફાયર વિભાગે તાલીમ આપી:SRP ગ્રુપ-5 ખાતે આગ સુરક્ષા અને રેસ્ક્યુ ટેકનિક્સ શીખવાડાઈ

ગોધરા શહેરના લુણાવાડા રોડ પર આવેલા રાજ્ય અનામત પોલીસ દળ (SRP) ગ્રુપ-5 ખાતે આપદામિત્રોને ફાયર વિભાગ દ્વારા વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય આપત્તિની પરિસ્થિતિમાં સ્વયંસેવકોને અસરકારક બચાવ કામગીરી માટે સક્ષમ બનાવવાનો છે. આપદા વ્યવસ્થાપન તંત્રના માર્ગદર્શન હેઠળ આયોજિત આ અભ્યાસક્રમ અંતર્ગત, ગોધરા ફાયર વિભાગે આગ સુરક્ષા અંગે પ્રાયોગિક તાલીમ આપી. તાલીમ દરમિયાન, આગની પરિસ્થિતિમાં પ્રાથમિક નિયંત્રણ કેવી રીતે મેળવવું, આગ શામક સાધનોનો યોગ્ય ઉપયોગ, ગેસ સિલિન્ડરની આગ, ઇલેક્ટ્રિક ફાયર અને વાહનમાં લાગેલી આગને કાબૂમાં લેવા જેવી અગત્યની માહિતી ફાયર વિભાગના અધિકારીઓએ સમજાવી. આ ઉપરાંત, રોપ ક્લાઇમ્બિંગ અને રોપ રેસ્ક્યુ અંગેની પ્રેક્ટિકલ તાલીમ પણ આપવામાં આવી હતી. ઊંચી જગ્યાએ ફસાયેલા લોકોને સલામત રીતે નીચે ઉતારવાની ક્રિયા, રોપ એન્કરિંગ ટેકનિક, નોટ બાંધવાની રીત, સ્વયં બચાવ (Self-rescue) અને ટીમ વર્કના માપદંડો જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓનું વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ તાલીમ SRP ગ્રુપ–5ના ગ્રાઉન્ડમાં યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આપદામિત્રો સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આપદામિત્રો આપદા સમયે પ્રાથમિક પ્રતિસાદક શૃંખલાનો મહત્વનો ભાગ હોય છે. સમયસર અને યોગ્ય રેસ્ક્યુ કાર્યવાહી અનેક જાનહાનિ અટકાવી શકે છે, તેથી આવી તાલીમો ખૂબ જ જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:30 pm

કાપોદ્રા પોલીસે દુષ્કર્મના આરોપીને પકડવા મજૂરોનો વેશ ધારણ કર્યો:ખેતરમાં કપાસ વિણી નીતિનને ઝડપી પાડ્યો, ફોટા-વીડિયોથી બ્લેકમેલ કરી યુવતી પર 5 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું

સુરત પોલીસે વધુ એક દુષ્કર્મ કેસના આરોપીને ફિલ્મ ઢબે ઝડપી પાડ્યો છે. આરોપીએ રત્નકલાકારે ફોટો-વીડિયોથી બ્લેકમેલ કરી યુવતી પર પાંચ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. જોકે, ધરપકડથી બચવા આરોપી સુરતથી 360 કિમી દૂર ભાવનગર ખાતે પોતાના જ ગામની સીમમાં આવેલા ખેતરમાં એક ઓરડીમાં છેલ્લા બે મહિનાથી છૂપાયો હતો. સુરત પોલીસને બાતમી મળતા જ સ્થાનિક પોલીસ સાથે મજૂરોનો વેશ ધારણ કરી કપાસ વિણીને રેકી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી છેલ્લા પાંચ વર્ષથી યુવતી પર દુષ્કર્મ આચરતો હતોકાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, કાપોદ્રા વિસ્તારમાં 30 વર્ષીય યુવતી બે ભાઈઓ સાથે રહેતી હતી. વર્ષ 2020માં સોનલ ઘરે એકલી હતી તે દરમિયાન રત્નકલાકાર નીતિન ધામેલીયા ઘરમાં ઘૂસી આવ્યો હતો અને જબરજસ્તી શરીર સંબંધ બાંધ્યો હતો. જેના ફોટા અને વીડિયો પણ ઉતારી લીધા હતા. ત્યાર બાદ આ ફોટો અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને છેલ્લા પાંચ વર્ષથી અલગ અલગ જગ્યાઓ પર નીતિન ધામેલીયાએ યુવતીને શિકાર બનાવી હતી. યુવતીએ બ્લોક કરી દેતા આરોપીએ મારી નાખવાની ધમકી આપીવર્ષ 2025ના સપ્ટેમ્બર મહિનામાં સોનલ અવારનવારના દુષ્કર્મથી કંટાળી જઈને નીતિનને બ્લોક કરી દીધો હતો. જેથી તે વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો. સોનલે આ બાબતે તેના ભાઈઓ સહિતના પરિવારને જાણ કરી હતી. ત્યાર બાદ 25 સપ્ટેમ્બરના રોજ નીતિન ધામેલિયા વિરૂદ્ધ બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરવાની ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ફરિયાદના આદારે કાપોદ્રા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોપીના વતન ભાવનગરમાં તપાસ કરતા મળ્યો નહોતોકાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઇ એમબી ઔસુરાના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી પાડવાની દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. દરમિયાન આરોપી મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરીને ફરાર થઈ ગયો હતો. આરોપીના વતન ભાવનગર જિલ્લાના નાની ગામ ખાતે તપાસ કરવામાં આવી હતી. જોકે, ત્યાંથી પણ તે મળી આવ્યો નહોતો. જેથી તે આસપાસના ગામમાં ક્યાંક છૂપાયો હોય તે પ્રકારની આશંકા હતી. આરોપીની બાતમી મળતા પોલીસે મજૂરોનો વેશ ધારણ કર્યોઆરોપીની શોધખોળ દરમિયાન કાપોદ્રા, ઉતરાણ અને પાલીતાણાની સ્થાનિક પોલીસ દ્વારા આ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે, આરોપી તેના વતન એવા નાની ગામની સીમમાં છૂપાયો છે, જેથી એક ટીમને સુરતથી 360 કિમી દૂર નાની ગામ ખાતે મોકલવામાં આવી હતી. હાલ કપાસ વિણવાની સિઝન ચાલતી હોવાથી પોલીસના જવાનોએ મજૂરોનો વેશ ધારણ કર્યો હતો. પોલીસે રેકી કરી આરોપી નીતિન ધામેલીયાને ઝડપી પાડ્યોપોલીસે મજૂરોનો વેશમાં કપાસ વિણ્યો હતો અને આરોપીની બે દિવસ રેકી કરી હતી. આરોપી સીમાં આવેલી એક ઓરડીમાં છેલ્લા બે મહિનાથી છૂપાયો હતો. જેથી આરોપીને સંયુક્ત ઓપરેશન હાથ ધરી પકડી પાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ આરોપી નીતિન ધામેલીયાને લઈને પોલીસ સુરત આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:29 pm

બોટાદમાં મેગા મેડિકલ કેમ્પની તૈયારીઓ માટે બેઠક યોજાઈ:રાજ્યસભા સાંસદની અધ્યક્ષતામાં AIMS હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન

બોટાદ જિલ્લા પંચાયત ખાતે આગામી મેગા મેડિકલ કેમ્પની તૈયારીઓ માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. રાજ્યસભાના સાંસદ કેસરીસિંહજી ઝાલાની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભારતીબેન ધોળકિયા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન, જિલ્લા ભાજપ મંત્રી જયરાજભાઈ પટગીર તેમજ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનું આયોજન AIMS હોસ્પિટલ, રાજકોટની તબીબી નિષ્ણાંત ટીમ દ્વારા 29 નવેમ્બર, 2025ના રોજ બોટાદના સ્વામિનારાયણ ગુરુકુળ, ગઢડા રોડ ખાતે કરવામાં આવશે. બેઠકમાં કેમ્પના સુચારુ આયોજન બાબતે તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રમુખોને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ મેગા મેડિકલ કેમ્પમાં બોટાદ જિલ્લાના તમામ જરૂરિયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક નિદાન, સારવાર અને દવાઓ પૂરી પાડવામાં આવશે. તેમજ આગળની સારવાર માટે પણ તમામ સેવાઓ નિ:શુલ્ક મળશે. સાંસદ કેસરીસિંહજી ઝાલા દ્વારા તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના વડાઓને બોટાદ જિલ્લાના વધુને વધુ જરૂરિયાતમંદ દર્દીઓ આ કેમ્પનો મહત્તમ લાભ મેળવી શકે તે માટેનું આયોજન કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:28 pm

ઢોર પાર્ટીની સતત ત્રીજા દિવસે કાર્યવાહી:વડોદરામાં 11 ગેરકાયદેસર ઢોરવાડા દૂર કરી 8 પશુઓ જપ્ત, પશુ માલિકો પાસેથી કુલ રૂપિયા 47 હજાર દંડ વસૂલ કર્યો

વડોદરા મહાનગરપાલિકાની ઢોર ડબ્બા શાખાએ શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા ઢોરવાડા અને રખડતાં પશુઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 11 ઢોરવાડા નાબૂદ કરવામાં આવ્યા છે, 8 પશુઓ જપ્ત કરાયા છે તેમજ પશુ માલિકો પાસેથી રૂપિયા 47 હજારનો દંડની રકમ વસૂલ કરવામાં આવી છે. પાલિકા-પોલીસની સંયુક્ત ટીમોએ ઢોરવાડા દૂર કર્યાઆ કાર્યવાહીમાં પાલિકાની ટીમ સહિત પોલીસ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા સમા, છાણી-જવાહરનગર, ગોત્રી, નવાયાર્ડ, નિઝામપુરા, ભાદરણનગર, જવાહરનગર, વૃંદાવન નગર, વડનગર, રાજનગર તેમજ રોમન પાર્ક વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. બીજી તરફ નવાયાર્ડ નિઝામપુરા મુક્તધામ પાસે, ભાદરણનગર રિલાયન્સ મોલ સામે તથા જાદવ પાર્ક પાસે 4 રખડતી ગાયો જપ્ત કરી 9 ઢોરવાડા દૂર કરવામાં આવ્યા હતા. સાથે નવરંગપુરા સોસાયટી (રાંદલમા મંદિર પાસે), સમા તથા રોમન પાર્ક પાસે છાણી ખાતે 6 ઢોરવાડા દૂર કરવામાં આવ્યા હતા. આ અગાઉ જવાહરનગર, વૃંદાવન નગર, વડનગર, રાજનગર પાછળના વુડાના મકાન પાસે તથા સ્વામિનારાયણ મંદિર પાસે કુલ 4 પશુઓ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં ગાયની અડફેટે નિર્દોષ નાગરિકોના મોત બાદ અવારનવાર કાર્યવાહી કરતી ઢોર પાર્ટી આ ડ્રાઇવ યથાવત રાખે છે કે પછી અગાઉની જેમ થોડાક દિવસ કાર્યવાહી કરી અટકે છે તે જોવાનું રહ્યું.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:11 pm

સાબરકાંઠામાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ ઉજવાઈ:જિલ્લા કક્ષાની યુનિટી માર્ચમાં 2025ને ઐતિહાસિક ત્રિવેણી સંગમ ગણાવાયું

ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાની યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ પ્રસંગે યુનિટી માર્ચને સંબોધી હતી. મંત્રી ડૉ. વાજાએ જણાવ્યું હતું કે, આ યુનિટી માર્ચ માત્ર પ્રતીકાત્મક પગલું નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના નિર્માણની દિશામાં એક મજબૂત સંકલ્પ છે. તેમણે વર્ષ 2025ને ઐતિહાસિક ત્રિવેણી સંગમનું વર્ષ ગણાવ્યું. આ વર્ષે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ, રાષ્ટ્રગીત 'વંદે માતરમ્'ના 150 વર્ષ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિનો શુભ સંયોગ રચાયો છે. સાંસદ શોભનાબેન બારૈયાએ અખંડ ભારતના નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરી, સૌને એક ભારત શ્રેષ્ઠ ભારત તેમજ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં ભાગીદાર થવા આહવાન કર્યું હતું. ધારાસભ્ય વી.ડી. ઝાલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસ્કૃતિને ઓળખનાર વડાપ્રધાન ગણાવ્યા અને 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' તથા 'યુનિટી માર્ચ'ના આયોજન થકી સરદારના યોગદાનને ઘર ઘર સુધી પહોંચાડી સાચું સન્માન આપવાનું શ્રેય વડાપ્રધાનને આપ્યું. આ 7 કિલોમીટર લાંબી યુનિટી માર્ચનો પ્રારંભ હિંમતનગરના ટાવર ચોક સ્થિત સરદાર પટેલ સ્ટેચ્યુથી થયો હતો. મંત્રીએ સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરી પદયાત્રાની શરૂઆત કરાવી હતી. આ યાત્રા સિવિલ સર્કલ, બસ સ્ટેશન, મોતીપુરા ઓવરબ્રિજ, GIDC મોતીપુરા થઈને સાબરડેરી ખાતે સમાપ્ત થઈ હતી. પદયાત્રાના રૂટમાં આવતી બાબા સાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. માર્ગમાં વિવિધ સ્થળો પર યાત્રાનું પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે યુવા આઇકન, સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ અને રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ સાબર ડેરી ખાતે વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ યુનિટી માર્ચમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, ઈડર ધારાસભ્ય રમણલાલ વોરા, પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, જિલ્લા કલેકટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ, ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલ, સાબરકાંઠાના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા હતા.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:11 pm

મોટા વરાછામાં 33 કરોડની જમીન પચાવી પાડવાનું કારસ્તાન:1.21 કરોડનું 'ફેક' પેમેન્ટ બતાવી છેતરપિંડી આચરનાર બે જમીન દલાલની ઇકો સેલે ધરપકડ કરી

હીરા અને ટેક્સટાઈલ નગરી સુરતમાં જમીન કૌભાંડોના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે સુરત શહેર ઈકોસેલ ક્રાઈમ બ્રાન્ચે એક મોટા જમીન કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મોટા વરાછા વિસ્તારમાં આવેલી કરોડોની કિંમતની જમીનને વિવાદમાં નાખી, ખોટા દસ્તાવેજો અને વાઉચરો બનાવી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરતા બે રીઢા આરોપીઓ જેઓ જમીન દલાલ છે, તેને પોલીસે ઝડપી પાડ્યા છે. આ કેસમાં આરોપીઓએ જમીનની કિંમત 33 કરોડ નક્કી કરી હોવા છતાં એક પણ રૂપિયો ચૂકવ્યા વિના 1.21 કરોડ રોકડા ચૂકવ્યા હોવાનું ખોટું સાટાખત ઊભું કર્યું હતું. 1.21 કરોડના ખોટા વ્યવહાર મોટા વરાછામાં આવેલ બ્લોક નં. 448 વાળી કિંમતી જમીન અંગે ફરિયાદી સાથે સોદો કરવામાં આવ્યો હતો. આ જમીનનો સોદો કુલ રૂ. 33 કરોડમાં નક્કી કરવામાં આવ્યો હતો. જોકે, આરોપીઓની દાનત પહેલેથી જ ખરાબ હતી. તેમણે ફરિયાદીને વિશ્વાસમાં લઈ સાટાખત તો કર્યું પરંતુ, તેમાં ટોકન પેટે રૂ. 1,21,00,000 રોકડા ચૂકવ્યા હોવાનું લખાણ કરાવી લીધું હતું. હકીકતમાં, સાટાખત સમયે આરોપીઓએ ફરિયાદીને ફૂટી કોડી પણ આપી ન હતી. ફક્ત એટલું જ નહીં, આરોપીઓએ અલગ-અલગ તારીખના ખોટા વાઉચરો પણ તૈયાર કર્યા હતા જેમાં આ રકમ ચૂકવાઈ હોવાનો દાવો કરાયો હતો. આ બોગસ પુરાવાના આધારે તેઓએ ફરિયાદીની 'ટાઈટલ ક્લિયર' જમીનને કાનૂની ગૂંચવણમાં નાખવા માટે કોર્ટમાં દાવો પણ માંડ્યો હતો. કોણ છે આ જમીન કૌભાંડના મુખ્ય આરોપીઓ?ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં તા. 19/11/2025ના રોજ દાખલ થયેલા ગુનાના આધારે ઈકોસેલ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં આરોપીઓ ધરપકડથી બચવા નાસતા-ફરતા હતા પરંતુ, બાતમીના આધારે વોચ ગોઠવી બંનેને ઝડપી લેવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં વિજયભાઇ બટુકભાઇ પરમાર (ઉ.વ. 49) ધંધો: જમીન લે-વેચ (રહેઠાણ: ફ્લેટ નં. એ/1102, શાંતવન એક્સેલા, રઘુવીર ટેક્સટાઈલ માર્કેટ સામે, ગોડાદરા રોડ, સુરત), રોનકભાઇ પ્રાગજીભાઇ ચોટલીયા (ઉ.વ. 31): ધંધો: જમીન દલાલી (રહેઠાણ: ફ્લેટ નં. ૧૦૫, સાનિધ્ય વિલા કોમ્પ્લેક્સ, પલસાણા, સુરત) ની ધરપકડ કરી છે. ફરિયાદી પાસેથી એફિડેવિટ કરવાના નામે સહીઓ લીધી હતીઆ ગુનામાં આરોપીઓએ ફરિયાદીને છેતરવા માટે એક સુઆયોજિત જાળ બિછાવી હતી. ફરિયાદીની અબ્રામા ખાતે આવેલી અન્ય એક જમીનમાં કાનૂની પ્રશ્નો હતા. આરોપીઓએ ફરિયાદીને કહ્યું હતું કે, તેઓ અબ્રામાવાળી જમીનનું મેટર પતાવી આપશે. આ બહાને તેમણે ફરિયાદી પાસેથી એફિડેવિટ કરવાના નામે સહીઓ લીધી હતી. ફરિયાદીને અંધારામાં રાખીને, અબ્રામાની જમીનના કામના બહાને મોટા વરાછાની જમીનનું સાટાખત કરાવી લીધું હતું. અબ્રામા જમીનના વેચાણ અંગેના નાણાં ચૂકવતી વખતે જે વાઉચરોમાં સહીઓ લીધી હતી, તેનો દુરુપયોગ કરી મોટા વરાછાની જમીનના 1.21 કરોડ ચૂકવ્યા હોવાના ખોટા પુરાવા ઊભા કર્યા હતા. આમ, એક જમીનનું કામ કરી આપવાના બહાને બીજી 33 કરોડની જમીન પચાવી પાડવાનો કારસો રચ્યો હતો. હાલમાં ઈકોસેલ ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની અટકાયત કરી છે અને તેમના રિમાન્ડ મેળવવા તથા આ કૌભાંડમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:09 pm

પોરબંદરમાં બે અનાથ દીકરીઓને શાળામાં પ્રવેશ મળ્યો:ભાજપ પ્રમુખે સ્વખર્ચે ડોક્યુમેન્ટ કઢાવી મદદ કરી

પોરબંદરમાં ભાજપના જિલ્લા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ બે અનાથ દીકરીઓને શાળામાં પ્રવેશ અપાવવામાં મદદ કરી છે. આ દીકરીઓ પાસે જન્મના કોઈ દસ્તાવેજો ન હોવાથી તેઓ અભ્યાસથી વંચિત હતી. જ્યુબેલી પુલ પર છૂટક વેપાર કરતા એક વૃદ્ધની આ બે પૌત્રીઓ છે. તેમના માતા-પિતાના અવસાન બાદ તેઓ તેમની દાદી સાથે રહે છે. જન્મના દાખલા સહિતના જરૂરી પુરાવા ન હોવાને કારણે તેઓ શાળામાં જઈ શકતી ન હતી. આ અંગેની જાણ ડો. ચેતનાબેન તિવારીને થતાં તેમણે પહેલ કરી. તેમણે બંને દીકરીઓના જન્મ સ્થળની તપાસ કરી અને નગરપાલિકામાં એફિડેવિટ રજૂ કરીને જન્મતારીખના દાખલા મેળવ્યા. આ દસ્તાવેજોના આધારે, તેમને બોખીરાની શાળામાં અભ્યાસ માટે પ્રવેશ અપાવવામાં આવ્યો. આ ઉપરાંત, ડો. તિવારીએ તેમને અભ્યાસ કીટ પણ પૂરી પાડી હતી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:09 pm

રાજકોટથી પરત આવતા યુવકનું કારમાં અપહરણ કર્યું:10થી 15 લોકોએ મોબાઈલ અને સ્માર્ટ વોચ લુંટી લીધા, 91 હજાર ડોલરનું પેમેન્ટ મંગાવી આપ તેમ કહી લાકડીઓ અને બેઝબોલ સ્ટીકથી માર માર્યો

કેલીફોર્નિયા ખાતે 91 હજાર ડોલરનું પેમેન્ટ પહોંચ્યું ન હોવાની અદાવતમાં 10થી 15 જેટલા શખ્સો સાયલા પાસેથી યુવકનું અપહરણ કર્યું હતા. ત્યારબાદ ત્યારબાદ ઢોર મારીને રૂપિયા મંગાવી આપ તેમ કહી પિસ્તોલ જેવું હથિયાર બતાવી ધમકી આપી મોબાઇલ અને સ્માર્ટ વોચ લુટી લીધી હતી. ગભરાઇને યુવકે 2 રૂપિયા લાખ આપ્યાં હતા. ત્યારબાદ વધુ રૂ.10 લાખ આપ નહી તો ફરીવાર ઉપાડી જઈશુ તેવી ધમકી આપતા યુવકે છાણી પોલીસ સ્ટેશનમાં 6 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના છાણી ગામ વિસ્તારમાં આવેલા નવાપુરા ફળિયામાં રહેતા કર્ણવિર મનોજભાઈ પટેલે છાણી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, મે ડીપ્લોમાં સીવીલ એન્જીનિયરનો અભ્યાસ કર્યો છે. અને હાલ હું ખેતી અને રીયલ એસ્ટેટને લગતુ કામકાજ કરૂ છુ. વર્ષ 2024માં ઓગષ્ટ મહિનાના એક દિવસ હું મારા ઘરે હતો દરમ્યાન મિત્ર હર્ષિલ રબારીએ (રહે. મરીડા ગામ, નડિયાદ) મારો કોન્ટેકટ કર્યો હતો અને પોતે આંગડીયા વિદેશમાંથી રૂપીયા ટ્રાન્સફર કરવાનુ કામ કરતો હોવાનુ જણાવ્યું હતું. તમારાથી યુ.એસ.એ.માં કોઈ રૂપીયાની એક જગ્યાએથી ડિલિવરી લઈ બીજી જગ્યાએ પહોંચાડે તેવી કામગીરીના સંપર્ક હોય જણાવજો તેમ કહી મને કમીશન આપવાનું જણાવ્યું હતું. ગત વર્ષ નવેમ્બર 2024માં મને હર્ષિલ રબારી યુ.એસ.એ.ના કેલીફોનિયા ખાતેથી 40 હજાર ડોલર તથા બીજી જગ્યાએથી 51 હજાર ડોલરનુ કલેકશન કરીને સેન્ટ ફ્રેન્સીસ્કો ખાતે એરપોર્ટ ખાતે ડ્રોપ કરવાનુ હતુ. પરંતુ 91 હજાર ડોલરનુ પીકઅપ તારા માણસે કેલીફોનિયાથી કર્યું છે તે તને જણાવેલી જગ્યાએ પહોંચ્યું નથી. જેથી મને જાનથી મારી નાંખવાની ગર્ભીત ધમકીઓ આપી હતી અને રૂપીયા પહોંચાડી દે નહીં તો તે વિચાયું નહીં હોય તે પરિણામ ભોગવવાની તૈયારી રાખજે. ગત ફેબ્રુઆરી મહિનામાં હું રાજકોટ ગોંડલ ખાતે બ્લડ ડોનેશનના કેમ્પમાં મિત્ર દિપ શાહ તેમજ હામીદ ડ્રાઈવર સાથે રાત્રીના અગિયારેક વાગે લીમડી થઈ વડોદરા આવવા માટે નિકળ્યા હતા. આ દરમ્યાન સાયલા પાસે એક વ્યકિત મારા ડ્રાઇવર પાસેથી ગાડીની ચાવી લઇ લીધેલ બે ગાડીઓમાંથી અંદાજીત દસથી વધુ માણસો ઉતર્યાં હતા અને અમારી સાથે ઝઘડો મારો શર્ટ ફાડી નાખી મને થાર ગાડીમાં બેસાડી 10-15 કિલોમીટર દુર એક ફાર્મ ઉપર લઈ ગયા હતા. જયાં એક રૂમમાં મને રામ મોરીએ મારી પાસેના બે મોબાઈલ તથા સ્માર્ટ વોચ લઈ લીધી હતી. તારા માણસોએ કેલિફોર્નિયા ખાતે 91 હજાર ડોલર લીધા છે, અત્યારે મંગાવી આપ નહી તો તું અહીથી જીવતો નહી જાય તેમ કહી લાકડી તથા બેઝબોલની સ્ટીકથી માર માર્યો હતો. રામ મોરીએ પિસ્તોલ જેવુ હથિયાર બતાવી આ ચાલશે તો કોઇ સગી નહી થાય તારે જીવવુ હોય તો રૂપિયા મંગાવી લે તેમ જણાવ્યું હતું. આ લોકોએ મને મારતો વિડિયો બનાવ્યો હતો. અને કબુલાત કરાવી હતી કે ડમ્પર દ્વારા કરેલી માટીના કામના રૂ. 50 લાખ લેવાના છે. ત્યારબાદ રૂપિયા 10 લાખ પડાવવા માટે ફરીથી ધમકી આપી હતી. જેથી છાણી પોલીસે હર્ષિલ રબારી,અજય દાઢી, લાલો ભરવાડ, રામ મોરી, નવઘણ રબારી તથા હાર્દિક ડોગરે વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:07 pm

એકના ડબલ કરતી ટોળકીનો પર્દાફાશ:ચમત્કારીક તાંત્રિક વિધિથી એકના ડબલ કરી 30 લાખની છેતરપિંડી આચરનાર 7 આરોપીઓ ઝડપાયા, 30.68 લાખનો મુદ્દામાલ કબજે

વડોદરા જિલ્લાના શિનોર પોલીસે અંધશ્રદ્ધા અને કાળા જાદુનો ભોગ બનેલા ફરિયાદીની ફરિયાદના આધારે શિનોર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. એકના ડબલ કરી આપવાના નામે ચમત્કારીક તાંત્રિક વિધિ કરી 30 લાખની છેતરપિંડી કરનાર આંતરજિલ્લા ઠગ ટોળકીના કુલ 7 આરોપીઓને ઝડપી પાડી 30.68 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. પોતાને હિંદુ સાધુ તરીકે રજૂ કરીને લોકોને છેતરતો હતોઆ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી આનંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પનસોરા ગામનો ઐયુબમીયા બચુમિયાં બેલીમ (ઉ.વ. 59) ઉર્ફે ગોપીનાથ બાપુ છે, જે પોતાને હિંદુ સાધુ તરીકે રજૂ કરી ભગવા કપડાં પહેરીને લોકોને છેતરતો હતો. તેણે ખોટું આધાર કાર્ડ પણ બનાવડાવ્યું હતું અને પકડાય તે પહેલાં પોતાનું સીમ કાર્ડ તોડી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ચમત્કારીક વિધીથી પૈસા ડબલ કરી આપવાનું કહી ઠગી લીધાફરિયાદી નિલેશકુમાર ઓમપ્રકાશ અગ્રવાલ (રહે.બોડેલી, જિ. છોટાઉદેપુર)એ 8 નવેમ્બર 2025ના રોજ શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, આ ટોળકીએ તેમને વિશ્વાસમાં લઈને રૂ.30 લાખ આપ્યા બાદ તેને ચમત્કારીક વિધીથી ડબલ કરી આપવાનું કહી ઠગી લીધા હતા. શિનોર પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. ગોહિલની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી અને 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ અંગે જિલ્લા એસ પી સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ ફરિયાદના અનુસંધાને પોલીસે કાર્યવાહી કરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. તાંત્રિક વિધિના નામે પૈસા ડબલ કરવાની વાત કરી ફરિયાદીને છેતરવામાં આવ્યો હતો. ફરિયાદીના ઘરે આવીને તાંત્રિક વિધિ કરાવી ઔષધિ બાદ તે ડબલ કરવાની વાત કરી 30 લાખ રૂપિયા પડાવી છેતરપિંડી આચરવામાં આવે છે. આ ફરિયાદી પાસેથી પૈસા પડાવવા માટેનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં 8 પૈકી 7 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં વડોદરા ગ્રામ્યના એક ASIની ધરપકડ કરી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓઝાકીરહુસેન જશુભાઈ રાઠોડ (ઉ.વ. 50, નાના કરાળા, શિનોર)દક્ષેશકુમાર મહેન્દ્રભાઈ ઠાકર (ઉ.વ. 49, નાના કરાળા, શિનોર)ઐયુમિયા બચુમિયાં બેલીમ ઉર્ફે ગોપીનાથ બાપુ (ઉ.વ.59, પનસોરા, ઉમરેઠ, આણંદ)મહમદ રિફાકત હુસેન બેલીમ (ઉ.વ.24, પનસોરા, ઉમરેઠ)કંચનભાઈ ગોકળભાઈ રાઠવા (ઉ.વ. 48, હાલ શિનોર પોલીસ લાઇનમાં રહે છે)​​​​​​​દેવાંગભાઈ ચંદ્રવદન ભટ્ટ ઉર્ફે મહાદેવ (ઉ.વ. 42, રાજકોટ)ભૌમિક અતુલભાઈ ઠાકર (ઉ.વ. 26, નાના કરાળા, શિનોર) ફરાર આરોપી​​​​​​​યાસીનમિયાં યાકુબમિયાં બેલીમ (પનસોરા, ઉમરેઠ, આણંદ) કબજે કરાયેલ મુદ્દામાલ:રોકડ રૂપિયા 30,03,0008 મોબાઇલ ફોન (કિંમત રૂ. 40,000)1 મોબાઇલ સ્માર્ટ ફોન (કિંમત રૂ. 25000)તાંત્રિક વિધિનો સામાન, ભગવા કપડાં, માળા, ઔષધી સહિત કુલ મુદ્દામાલની કિંમત - 30,68,000 રુપિયા

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:02 pm

ઠગ યુવતીએ લોકોને શિકાર બનાવ્યા:વડોદરા પત્નીને પોલીસમાં, પતિને રેલવેમાં નોકરી અપાવવાના નામે યુવતીએ 7 લાખ પડાવ્યા, PM આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે 3 લોકો પાસેથી 9 લાખ પડાવ્યા, યુવકે

વડોદરા શહેર ગોત્રી વિસ્તારમાં આવેલી મુખ્યમંત્રી ગૃહ યોજનાના મકાનમાં રહેતી ઠગ મહિલાએ દંપતીને પોલીસ તથા રેલવેમાં નોકરી અપાવવાના બહાને રૂ.7 લાખ તથા 3 મહિલાઓને આવાસાના મકાનો અપાવવાનું કહીને રૂ.9.12 લાખ મળી કુલ 16.12 લાખ પડાવી લીધા હતા. પરંતુ કોઇ સરકારી નોકરી કે આવાસનું મકાન નહી અપાવતા મહિલા સામે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં યુવકે ઠગાઇની ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. વડદોરા શહેરના નજીક આવેલી બિલ કેનાલ રોડ પર આવેલી દેવેશ એમ્પેરિયામાં રહેતા પિયુશ પરષોતમભાઈ ચાવડાની પત્ની ઈશાબેને વર્ષ 2024માં પોલીસની ભરતી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પરંતુ અમદાવાદ ખાતે દોડના પ્રેક્ટિલમાં તેઓ નાપાસ થયા હતા. આ દરમિયાન તેમના પિતરાઇ અરવિંદભાઈએ ઓળખીતા મિત્તલબેન કાર્તિક સાધુની સારી એવી ઓળખાણો છે. તે તારા પત્નીને પરીક્ષા પાસ કરાવવા માટે સેટિંગ કરી આપશે તેમ કહ્યું હતું. જેની વાત અરવિંદભાઇએ મિતલબેનને વાત કરતા તેઓએ 3 લાખ રૂપિયામાં ઈશાનુ પોલીસમાં સેટીંગ કરી આપશે તેમ કહ્યું હતું. મિત્તલેબેને યુવકની પત્ની ઈશાનો પોલીસ ભરતીની પ્રેકટીકલ પરીક્ષાનો કોલ લેટર અને આધારકાર્ડની નકલ મોકલવા માટે કહ્યુ હતું. કોલ લેટર જોયા બાદ મિત્તલબેન અરવિંદભાઈને તમારૂ કામ થઈ જશે પરંતુ તમારે અડધુ પેમેન્ટ કરવું પડશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ આ ઠગ યુવતીએ પિયુષભાઈ ચાવડાને પણ રેલવેમાં કાયમી નોકરી અપાવવાની લાલચ આપી હતી. જેથી દંપતીને મહિલા પર વિશ્વાસ આવી જતા તેઓએ મહિલાના રૂપિયા 7 લાખ ચુકવી દીધા હતા. પરંતુ મહિલાઓ કોઇ સરકારી નોકરી અપાવી ન હતી. આ ઉપરાંત ઠગ મહિલાએ દંપતીના 7 લાખ ઉપરાંત જ્યોતિબેન અરવિંદભાઈ કાછેલ, પ્રિયંકાબેન તથા ઉર્વશીબેન પરમારને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન આપવાનું કહ્યું હતું અને તેમની પાસેથી જ્યોતિબેન પાસેથી 6.12 લાખ રૂપિયા પ્રિયંકાબેન કલારા પાસેથી 2 લાખ તથા ઉર્વશીબેન પરમાર પાસેથી રૂપિયા 1 લાખ મળી કુલ રૂપિયા 16.12 લાખ જેટલી માતબર રકમ પડાવી હતી. પરતું ઠગ મહિલા મિત્તલ સાધુએ કોઇ સરકારી નોકરી અપાવી ન હતી કે, આવાસના મકાનો નહી અપાવીને તેમની સાથે ઠગાઇ આચરી હતી. જેથી બિલ વિસ્તારમાં રહેતા યુવકે ઠગ યુવતી મિત્તલ સાધુ સામે ઠગાઇની ફરિયાદ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદી પિયુશભાઈ ચાવડાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પહેલા મારી પત્નીને પોલીસમાં અને પછી મને રેલવેમાં નોકરી આપવાના નામે મિત્તલે અમારી પાસેથી સાત લાખ રૂપિયા પડાવ્યા હતા. તેણે મને કહ્યું હતું કે, હું ભરૂચમાં રેલવેમાં ક્લાર્ક તરીકે નોકરી કરું છું અને તમને પણ રેલ્વેમાં નોકરી અપાવી દઈશ, શરૂઆતમાં મને વિશ્વાસમાં લેવા માટે ટ્રેનિંગ લેટર પણ આવ્યો હતો. ત્યારબાદ તેણે મારી પાસે વધુ રૂપિયા માંગ્યા હતા. ત્યારબાદ તેણે મને નોકરી માટેનો બોગસ જોઇનિંગ લેટર પણ ઈમેલથી મોકલ્યો હતો. આ મહિલાએ વડોદરા ઉપરાંત ભરૂચ સુરત અને અમદાવાદમાં પણ લોકો છેતરપિંડીઓ કરી હોવાનું જાણવા મળ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 7 લાખ રૂપિયા આપ્યા પછી પણ મને અને મારી પત્ની નોકરી ન મળતા મને શંકા ગઈ હતી કે, અમને ફસાવવામાં આવ્યા છે. જેથી મેં 7 લાખ રૂપિયા પાછા માંગ્યા હતા. જેથી તેણે ચેક આપ્યો હતો, પરંતુ, તે બાઉન્સ થયો હતો. હવે મારે ઘર ચલાવવુ પણ મુશ્કેલ થઈ ગયું છે. મેં નવું મકાન લીધું છે તેનો 20,000 રૂપિયા નો હપ્તો આવે છે અને મિતલબેન ને નોકરીના પૈસા આપવા માટે ચાર લાખની બેંકમાંથી લોન લીધી હતી, તેનો 11000 રૂપિયાનો હપ્તો આવે છે, આમ કુલ દર મહિને 31 હજાર રૂપિયા હપ્તો ચૂકવુ છું. પોલીસ પ્રશાસનને મારે એટલી જ અપીલ છે કે અમારા રૂપિયા પરત અપાવી દે, જેથી કરીને અમે મુશ્કેલીમાંથી બહાર આવીએ.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 6:58 pm

ભરૂચના ઝાડેશ્વરમાં 4.57 કરોડના ખર્ચે તળાવ-બાગનું નવીનીકરણ:જળસંપતિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ખાતમુહૂર્ત કર્યું, 11 મહિનામાં પ્રોજેક્ટ પૂર્ણ કરાશે

ભરૂચના ઝાડેશ્વર પંચાયત વિસ્તારના સાઈ મંદિર નજીક તળાવ- બાગના 4.57 કરોડના ખર્ચે થનારા નવીનીકરણ કાર્યનું ગુરુવારે જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ ઝાડેશ્વર તળાવ-બાગના નવીનીકરણનું કામના ભાગરૂપે મંત્રી ઈશ્વરસિંહ પટેલ,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,અરૂણસિંહ રણા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયા, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા,જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ઝાડેશ્વરના જિલ્લા પંચાયત સભ્ય શૈલા પટેલ,નિરલ પટેલ,જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,ગામના સરપંચ કબીર વસાવા સહિતના મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ (બી.યુ.એ. ડી.એ) તરફથી તવરા અને ઝાડેશ્વર સહિત કુલ 645 હેક્ટર વિસ્તારમાં 7 ડ્રાફ્ટ ટી.પી. સ્કીમને સરકાર દ્વારા મંજૂરી અપાઈ છે. આ યોજનાઓ મુજબ તબક્કાવાર નવી માર્ગ વ્યવસ્થા,બાગ-બગીચા,સામાજિક સુવિધાઓ, આર્થિક અને નબળા વર્ગે માટે રહેણાંક, વાણિજ્યિક પ્લોટ, અર્બન ફોરેસ્ટ તથા ખુલ્લી જગ્યા જેવી સુવિધાઓનું નિર્માણ થનાર છે. આ નવીનીકરણ બાદ સ્થાનિક લોકોને વધુ સુવિધાસભર પર્યાવરણ ઉપલબ્ધ થશે.કામ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી સુરતની એક એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે, જે 11 મહિનાની અંદર પ્રોજેક્ટ પૂર્ણ કરશે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 6:57 pm

આપ નેતા બ્રિજરાજ સોલંકીનો કોળી સેનાએ કર્યો વિરોધ:ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પરની ટિપ્પણીથી સમાજમાં નારાજગી

બોટાદમાં આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી સામે કોળી સેનાએ વિરોધ નોંધાવ્યો છે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકીની હળદર મુલાકાતને રાજકીય ગણાવતી તેમની ટિપ્પણીના વિરોધમાં આ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. બે દિવસ અગાઉ બ્રિજરાજ સોલંકીએ બોટાદના હળદર ગામે પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકી દ્વારા લેવાયેલી મુલાકાતને રાજકીય ગણાવી હતી, જેના કારણે કોળી સમાજમાં નારાજગી વ્યાપી હતી. પત્રકાર પરિષદમાં આપના નેતા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોળી સમાજના આગેવાનોએ બ્રિજરાજ સોલંકી દ્વારા અગાઉ કુંવરજીભાઈ બાવળિયા પર કરવામાં આવેલી ટિપ્પણીને પણ સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. આ વિરોધ પ્રદર્શનમાં બોટાદ જિલ્લા કોળી સેનાના અધ્યક્ષ કેશુભાઈ પંચાળા, કોળી સમાજના આગેવાન નરશીભાઈ અણીયાળિયા, અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મંત્રી અશોકભાઈ સમ્રાટ, બોટાદ જિલ્લા મહિલા પ્રમુખ દયાબેન અણીયાળિયા, વિજયભાઈ ગોહલિયા, કમલેશભાઈ મકવાણા, કોળી સેના મીડિયા સેલ ઇન્ચાર્જ વિજયભાઈ કુંવરીયા, જીગ્નેશભાઈ ચૌહાણ, મહેશભાઈ કુકડીયા (બોટાદ નગરપાલિકા સભ્ય), હરેશભાઈ પંચાળા (બોટાદ નગરપાલિકા સભ્ય), એ.કે.બાવળીયા (બોટાદ નગરપાલિકા સભ્ય), પરમાર કિશોરભાઈ, શૈલેષભાઈ ધરજીયા, રવજીભાઈ વાટુકિયા (બોટાદ નગરપાલિકા સભ્ય) તેમજ બોટાદના અન્ય કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતના સદસ્ય અને અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ દયાબેન અણીયાળિયાએ આ અંગે માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 6:49 pm

વર્ષ 2022 PSIની 162 પોસ્ટની ભરતીને લગતી અરજીઓનો નિકાલ:ઉમેદવારોએ કટ ઓફ માર્ક્સ, આંસર કી જેવા મુદ્દે હાઇકોર્ટમાં અરજીઓ કરી હતી

ગુજરાત હાઈકોર્ટે આર્મ્ડ પોલીસ સબ–ઇન્સ્પેક્ટર અને રિઝર્વ પોલીસ સબ–ઇન્સ્પેક્ટરની 162 પોસ્ટ માટે લાંબા સમયથી અટકેલી ભરતી પ્રક્રિયાને આગળ વધારવાનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. લગભગ 3 વર્ષથી ચાલતી કાનૂની અનિશ્ચિતતાનો હવે અંત આવ્યો છે. વર્ષ 2022ની શરૂઆતમાં સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન દ્વારા શરૂ થયેલી આ ભરતી, પરીક્ષાની વિવિધ તબક્કે નિષ્ફળ ગયેલા ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી અનેક અરજીઓના કારણે અટકતી રહી હતી. હાઈકોર્ટે જાન્યુઆરી, 2025માં અરજી રદ્દ કરી હતીગુજરાત હાઇકોર્ટે પરીક્ષા, ઉત્તર કી અને ક્વોલિફાઈંગ ધોરણોને પડકારતી બધી અરજીઓ નકારી નાખી છે. આ વર્ષના જાન્યુઆરી, 2025માં પણ હાઈકોર્ટે બીજી એક અરજી રદ્દ કરી હતી, જેમાં રાજ્ય પોલીસની મોટર ટ્રાન્સપોર્ટ ડિવિઝનની કેટલીક કેડરે આ ભરતીમાં સમાવેશ માગ્યો હતો. તે નિર્ણય બાદ રાજ્ય સરકારે લેખિત પરીક્ષા લઈ શકી. પરંતુ એપ્રિલ, 2025માં આંસર કી પ્રકાશિત થતાં જ નવી અરજીઓ દાખલ થઈ હતી. જેમાં ઉમેદવારોએ કેટલાક પ્રશ્નો ખોટા કે અભ્યાસક્રમમાંથી બહાર હોવાનો દાવો કર્યો હતો. કેટલાક અરજદારોએ 40%ના કટ ઓફને ઘટાડીને 35% કરવા માંગ કરી હતી. ખામીયુક્ત પ્રશ્નો રદ કરવામાં આવ્યા હતારાજ્ય સરકારનું કહેવું હતું કે, તમામ વિવાદાસ્પદ પ્રશ્નો વિષય નિષ્ણાતોને મોકલવામાં આવ્યા હતા અને વિગતવાર કારણો સાથે તેમનો જવાબ પણ જાહેર કરવામાં આવ્યો હતો. ખામીયુક્ત પ્રશ્નો રદ કરવામાં આવ્યા હતા. જેથી કોઈ ઉમેદવારને નુકસાન ન થાય. રાજ્યે કોર્ટને જણાવ્યું હતું કે અરજદારોએ ઘણા પ્રશ્નો અભ્યાસક્રમની ખોટી સમજ અથવા આંસર કી ના ખોટા વાંચનના કારણે ઉઠાવ્યા હતા. જ્યારે અનેક વિવાદિત પ્રશ્નો અભ્યાસક્રમની અંદર જ હતા. શૈક્ષણિક મુદ્દાઓમાં નિષ્ણાતોની ધારણા પર હસ્તક્ષેપ કરવો યોગ્ય નથીરાજ્ય સરકારની તરફથી હાજર GP જી.એચ.વિર્કે દલીલ કરી હતી કે અરજદાર પોતાનું પેપર ફરી તપાસાવવા માગે છે અને કાયદો આને મંજૂરી આપતો નથી. રાજ્યનો અભિપ્રાય હતો કે ભરતી પ્રક્રિયા શરૂ કરતા પહેલા નક્કી કરાયેલા ધોરણો પછી બદલાઈ શકતા નથી. કોર્ટમાં મુકાયેલ નોંધો મુજબ 1199 ઉમેદવારોએ મુખ્ય પરીક્ષામાં બેસવા માટે લાયકાત મેળવી હતી. એક તરફ સફળ ઉમેદવારો પરીક્ષા પાસ કરી આગળ પ્રોમોશન માટે રાહ જોઈ રહ્યા હતા અને બીજી તરફ અરજદારો જેઓ નિષ્ફળ થયા પછી પ્રક્રિયાને પડકારતા રહ્યા છે. હાઇકોર્ટે કહ્યું હતું કે આન્સર કી નું પુનઃમુલ્યાંકન કરવું કે શૈક્ષણિક મુદ્દાઓમાં નિષ્ણાતોની ધારણા પર હસ્તક્ષેપ કરવો યોગ્ય નથી. તમામ અરજીઓ રદ્દ થતા અટકેલી ભરતી પ્રક્રિયા કોઈ વધુ અવરોધ વિના આગળ વધી શકશે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 6:46 pm

ગત વર્ષનું બેઠું પેપર પૂછનાર પેપરસેટર સામે કમિટીનો રિપોર્ટ સબમિટ:પ્રોફેસરને કસૂરવાર ગણાવ્યા, 5 વર્ષનું મહેનતાણું પરત લેવાશે; 2 વર્ષ પરીક્ષાની કામગીરીથી દૂર રાખવા નિર્ણય

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની સિવિલ એન્જિનિયરિંગની પરીક્ષામાં છબરડો થયો હોવાનું સામે આવ્યું હતું. સિવિલ એન્જિનિયરિંગની સેમેસ્ટર 7ની પરીક્ષામાં ગયા વર્ષનું પેપર બેઠે બેઠું પૂછી નાખવામાં આવ્યું હતું. જેથી ગયા વર્ષનું પેપર બેઠે બેઠું પેપર પરીક્ષામાં આપવામાં આવતા ભારે વિવાદ થયો હતો. જે બાદ GTU દ્વારા તપાસ માટે કમિટીની બનાવવામાં આવી હતી. જેથી તપાસ કમિટીએ સમગ્ર બાબતની તપાસ કરીને આજે રિપોર્ટ સબમિટ કર્યો છે. જેમાં પેપરસેટર પ્રોફેસરને કસુરવામાં ગણવામાં આવ્યો છે. જેથી તપાસ કમિટીએ GTUને પેપરસેટર સામે કડક કાર્યવાહી કરવા ભલામણ કરી હતી. GTUમાં પેપર છબરડાની તપાસ કમિટીના રિપોર્ટ બાદ કાર્યવાહીગયા વર્ષે જે પેપરસેટર પ્રોફેસરે પેપર નીકાળ્યું હતું તે જ પેપરસેટર પ્રોફેસર દ્વારા આ વર્ષે બેઠે બેઠું પેપર કાઢ્યું હતું. જેથી તેને લઈને ભારે વિવાદ થયો હતો. જેથી હવે GTUમાં પેપર છબરડાની તપાસ કમિટીના રિપોર્ટ બાદ એક મિટિંગ બોલાવવામાં આવી હતી. જે મિટિંગમાં પેપરસેટર પ્રોફેસર સામે કડક કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પેપર કાઢતા સમયે બેદરકારી દેખાવવામાં આવી હોવાનું GTU દ્વારા ગણવામાં આવ્યું છે. જેથી પેપરસેટર પ્રોફેસરનું 5 વર્ષ સુધીનું પરીક્ષાનું મહેનતાણું પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ બે વર્ષ માટે પેપરસેટર પ્રોફેસરને પરીક્ષાની કામગીરીથી દૂર રાખવાનો કુલપતિના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમાં નિર્ણય લેવાયો છે. પ્રોફેસરનું 5 વર્ષનું મહેનતાણું પરત લેવાશેદિવ્ય ભાસ્કરની સાથેની વાતચીત GTUના રજીસ્ટ્રાર કે. એન.ખેરે જણાવ્યું હતું કે, ગયા વર્ષનું પેપર આ વર્ષની પરીક્ષામાં પૂછવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જે બાદ તાત્કાલિક તપાસ કમિટી બનાવવામાં આવી હતી. આ તપાસ કમિટીએ GTUને આજે રિપોર્ટ સબમિટ કરાવ્યો હતો. તેમજ તપાસ કમિટીએ પેપરસેટર પ્રોફેસર સામે કાર્યવાહી કરવા માટે પણ જણાવ્યું હતું. જેથી મિટિંગમાં પેપરસેટર પ્રોફેસર સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મહેનતાણું પરત લેવાનો અને આગામી બે વર્ષ સુધી પરીક્ષાની કામગીરીથી દૂર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 6:41 pm

10માંથી 8 અરજીઓનો સ્થળ પર નિકાલ:જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જામનગરમાં કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ ૧૦ પ્રશ્નો રજૂ થયા હતા, જેમાંથી ૮ પ્રશ્નોનો સ્થળ પર જ ત્વરિત અને હકારાત્મક નિકાલ લાવવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટરે ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાઓને ધ્યાનપૂર્વક સાંભળી હતી. તેમણે વિવિધ પ્રશ્નો સંદર્ભે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિરાકરણ લાવવા સૂચના આપી હતી. જરૂર જણાઈ ત્યાં વિભાગો વચ્ચે સંકલન સાધી અરજદારોના પ્રશ્નો ઝડપથી હલ થાય તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સોસાયટીમાં પાણીનો પુરવઠો, રી-સર્વે પ્રોમોલગેશન ક્ષતિ સુધારા, માર્ગની બંને બાજુ દબાણની માપણી, સરકારી જગ્યા અને રોડ પરના બિનઅધિકૃત દબાણો દૂર કરવા, પિયત માટે અન્ડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાખવાની મંજૂરી, પોલીસ ફરિયાદ, વરસાદી પાણી ભરાવાના પ્રશ્નો અને જન્મતારીખના દાખલામાં વારસદારના નામ ઉમેરવા જેવા વિવિધ પ્રશ્નો રજૂ થયા હતા. કલેકટરે માનવીય અભિગમ દાખવી આ પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવવા તાકીદ કરી હતી, જેનાથી અરજદારોએ સંતોષ અને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈની, અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, સંલગ્ન વિભાગોના અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 6:31 pm

DGVCL દ્વારા સ્માર્ટ મીટર અંગે જાગૃતિ બેઠક યોજાઈ:ઉદ્યોગકારોને માહિતગાર કરાયા, ગેરસમજો દૂર કરાઈ

નવસારી જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે DGVCL દ્વારા સ્માર્ટ મીટર અંગે ઉદ્યોગકારોને માહિતગાર કરવા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્યોગ પરિવાર ભવન ખાતે યોજાયેલી આ બેઠકનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં ફેલાયેલી સ્માર્ટ મીટર સંબંધિત ગેરસમજો દૂર કરવાનો હતો. બેઠકમાં ડીજીવીસીએલના અધિકારીઓએ સ્માર્ટ મીટર વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે સમજાવ્યું કે, સ્માર્ટ મીટર ટુ-વે કમ્યુનિકેશન ટેકનોલોજી પર આધારિત છે. આ ટેકનોલોજી ગ્રાહકોને ડીજીવીસીએલ સ્માર્ટ મીટર એપ્લિકેશન દ્વારા પ્રતિ કલાક પોતાનો વીજ વપરાશ જોવાની, ફરિયાદ નોંધાવવાની, બિલ ભરવાની અને ઘરે બેઠા વીજળી સંબંધિત તમામ માહિતી મેળવવાની સુવિધા પૂરી પાડે છે. અધિકારીઓએ સ્માર્ટ મીટરના ફાયદા અને જૂના મીટરથી થતી મુશ્કેલીઓ વિશે પણ વિસ્તૃત સમજૂતી આપી હતી. ઉદ્યોગકારોએ વીજ પુરવઠા સંબંધિત અનેક પ્રશ્નો પૂછ્યા હતા, જેના સંતોષકારક જવાબો અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા હતા. આ બેઠક અને ઉપલબ્ધ થયેલી માહિતીથી સંતુષ્ટ થઈને ઉદ્યોગકારોએ સ્માર્ટ મીટર સ્થાપિત કરવા માટે સંમતિ અને સકારાત્મક પ્રતિસાદ વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 6:29 pm

આણંદમાં બાકી વેરો ન ભરતા 6 દુકાનો સીલ:અન્ય 4 એકમો પાસેથી ₹1.50 લાખની વસૂલાત કરાઈ

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગે બાકી વેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી કરી છે. વેરો જમા ન કરાવતા 6 દુકાનોને સીલ કરવામાં આવી હતી, જ્યારે અન્ય 4 મિલકતધારકો પાસેથી સ્થળ પર જ ₹1.50 લાખનો વેરો વસૂલ કરાયો હતો. મનપાના ટેક્સ રિકવરી ટીમે રાજ શિવાલય સિનેમા પાસે આવેલા સિલ્વર પોઈન્ટ કોમ્પ્લેક્સમાં કાર્યવાહી કરી હતી. અહીં ₹56,415નો બાકી વેરો ભરવામાં ન આવતા 6 દુકાનોને સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ટીમે અન્ય 4 મિલકતધારકો પાસેથી બાકી વેરા પેટે કુલ ₹1,50,000ની રકમ સ્થળ પર જ વસૂલ કરી હતી. મહાનગરપાલિકા દ્વારા અગાઉ બાકી વેરા માટે મિલકતધારકોને નોટિસ પણ પાઠવવામાં આવી હતી. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એસ. કે. ગરવાલે મનપા વિસ્તારના તમામ મિલકતધારકોને સમયસર વેરો જમા કરાવવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, જો વેરો ભરપાઈ કરવામાં નહીં આવે તો ટેક્સ વિભાગની ટીમ દ્વારા આવા એકમોને સીલ કરવાની કાર્યવાહી ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 6:28 pm

અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં બે વકીલ આરોપીઓ સામે હાઇકોર્ટમાં અરજી:વકીલ સંજય પંડિત અને દિનેશ પાતરના જામીન રદ્દ કરવા મનીષ ખૂંટની માગ, કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં બે વકીલો પણ આરોપી છે. જેમને રાજકોટની કોર્ટે જામીન આપતા અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટે તેમના જામીન રદ્દ કરવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. આજે બંને પક્ષોના વકીલોને સાંભળ્યા બાદ આ અરજી ઉપર ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. અરજદારે આરોપી વકીલોના જામીન કેન્સલ કરવા રજૂઆત કરી હતીઅરજદાર વતી આરોપી વકીલ સંજય પંડિતના જામીન કેન્સલ કરવા રજૂઆત કરાઈ હતી કે, તેને 7 મેના રોજ એરેસ્ટ કરાયો હતો અને માત્ર તેના 7 દિવસમાં તેને જામીન મળી ગયા હતા. તેની ઉપર અગાઉ 6 પૂર્વ ગુન્હા નોંધાયેલા છે. જેમાંથી કેટલાક ગંભીર ગુન્હા છે. મૃતક અમિત ખૂંટ સામે આરોપીએ કાવતરાના ભાગરૂપ સગીરાને સાથે રાખી દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ખોટી ફરિયાદ નોંધાવી હતી. જેથી, અમિત ખૂંટે આત્મહત્યા કરી લીધી હતી. વકીલ સંજય પંડિત પર 10 વર્ષ સુધીની સજા થઈ શકે એવા પૂર્વ ગુન્હાઆરોપી વકીલ સંજય પંડિત સામે આજીવન કારાવાસથી લઈને 10 વર્ષ સુધીની સજા થઈ શકે એવા પૂર્વ ગુન્હા છે. તેની સનદ બે વખત સ્પેન્ડ કરાઈ હતી. આરોપી વકીલ સામે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ડિસિપ્લિનરી એકશન અરજી પેન્ડિંગ છે. શક્યતા છે કે, આરોપી મહત્વની સાક્ષી એવી સગીરાને ડરાવી ધમકાવી શકે છે. આરોપી પોતે વકીલ હોવા છત્તા તેને કાયદા માટે સન્માન નથી. આરોપી સંજય પંડિતના વકીલે દલીલ કરી હતી કે, અરજદારના વકીલે રજૂ કરેલી તમામ બાબતો ટ્રાયલ કોર્ટ સમક્ષ રજૂ કરાઈ પછી જ સંજય પંડિતને જામીન મળ્યા છે. તેને જામીન શરતોનો કોઈ ભંગ કર્યો નથી. વકીલ દિનેશ પાતર સામે પણ 4 પૂર્વ ગુન્હા નોંધાયેલા છેબીજા આરોપી વકીલ દિનેશ પાતર વિરુદ્ધ અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સંજય પંડિત જેવો જ રોલ વકીલ દિનેશ પાતરનો છે. તેની સામે પણ 4 પૂર્વ ગુન્હા નોંધાયેલા છે. દિનેશ પાતરના વકીલે રજૂઆત કરી હતી કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં તેના સામે કોઈ કાર્યવાહી ચાલુ નથી. તેની સામે નોંધાયેલા ગુના મોટા નથી. તેમાં લેન્ડ ગ્રેબિંગ અને ઘરેલું હિંસા જેવા ગુન્હાઓ છે. આ બધી જ બાબતો ટ્રાયલ કોર્ટ સમક્ષ મુકાઇ છે. તેને ફક્ત વકીલ તરીકેની ડ્યુટી કરી હતી. હાઇકોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો છે. પોલીસે બંને વકીલ આરોપીઓની પણ ધરપકડ કરી હતીઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા પોલીસ મથકે મે, 2025માં રાજદિપસિંહ, અનિરુદ્ધસિંહ અને વધુ બે આરોપીઓ સામે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં તેના ભાઈ મનીષ ખૂંટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં પોલીસે બંને વકીલ આરોપીઓની પણ ધરપકડ કરી હતી. પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ ભેગા મળીને સગીરા સાથે અમિત ખૂંટ ઉપર દુષ્કર્મનો ખોટો કેસ કરાવીને અમિત ખૂંટને આત્મહત્યા માટે મજબૂર કર્યો હતો. અમિત ખૂંટે ઝાડ પર ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેના ખિસ્સામાંથી 04 સુસાઈડ નોટ મળી આવી હતી. ફરિયાદ મુજબ રાજદીપસિંહ અને અનિરુદ્ધસિહ મૃતકના ગામમાં સસ્તા ભાવે જમીન પડાવી લેતા હોવાની બાબતને લઈને ગઈ વિધાનસભાની ચૂંટણીમાં આરોપીઓ અને મૃતક અમિત ખૂંટ વચ્ચે ઝઘડો થયો હતો. આરોપીઓએ મૃતક ઉપર હુમલો કરેલો, જેને લઈને મૃતકે આરોપીઓ સામે કેસ પણ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 6:25 pm

મહંત સ્વામીની ઉપસ્થિતિમાં જામનગરમાં પારસમણી સંમેલન:હજારો હરિભક્તો ઉમટ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રવચનો યોજાયા

જામનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં 'પારસમણી-યુવા વિરાટ સંમેલન' યોજાયું હતું. આ સંમેલનમાં હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા. મહંત સ્વામીના જામનગર રોકાણ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પૂજા-દર્શન અને સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મહંત સ્વામીના રોકાણકાળ દરમિયાન, BAPS સ્વામિનારાયણ મંદિરમાં દરરોજ પૂજા-દર્શન, સભાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સંવાદ, નાટકો, નૃત્ય, ડિબેટ અને પ્રશ્નોત્તરી જેવા કાર્યક્રમો યોજાયા હતા. મંદિર પરિસર હજારો ભક્તોથી ભરાઈ ગયું હતું, જ્યાં સવાર-બપોર-સાંજ નાસ્તા અને ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. BAPS સંસ્થાના વડા અને પ્રમુખસ્વામી મહારાજના અનુગામી મહંત સ્વામી મહારાજ 92 વર્ષની વયે પણ અવિરત વિચરણ કરી રહ્યા છે. તેઓ દેશ-વિદેશમાં મંદિરોના નિર્માણ, સંતોની દીક્ષા અને મહોત્સવો દ્વારા કાર્યકરોને પ્રેરિત કરે છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય જગતને એક સુંદર અને સંસ્કારી વિશ્વ બનાવવાનો છે. મહંત સ્વામીના સાનિધ્યમાં જામનગર એક સંસ્કાર નગરી અને આધ્યાત્મિક નગરીમાં પરિવર્તિત થયું હતું. હજારો ભક્તોએ સંત, શાસ્ત્ર અને મંદિરના ત્રિવેણી સંગમનો અનુભવ કર્યો હતો. આધુનિક યુગમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરતા, મહંત સ્વામીએ એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, જો ધૂળ મારા કપડાં બગાડે તો હું ધૂળથી દૂર રહું છું. જો કાદવ મારા કપડાં બગાડે તો કાદવથી દૂર રહું છું. તેવી જ રીતે, જે મોબાઈલ કે સોશિયલ મીડિયા મારું જીવન બગાડે છે, તેનાથી મારે ચોક્કસ સાવધાની રાખવી જોઈએ. તેમણે ભક્તોને સલાહ આપી કે, મોબાઈલનો ઉપયોગ કરતી વખતે તેનું રિમોટ આધ્યાત્મિક ગુરુના હાથમાં રાખવું જોઈએ, જેથી તેનો સદુપયોગ થઈ શકે અને દુરુપયોગથી બચી શકાય. અપૂર્વ સ્વામી મહારાજે જણાવ્યું હતું કે, યુવા પેઢી વિવેકાનંદ જેવી મહાન વ્યક્તિ બની શકે છે અથવા વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડનારા ક્રૂર વ્યક્તિ જેવી પણ બની શકે છે. સંતનો સમાગમ યુવાનોને વિસર્જનમાંથી સર્જન તરફ, દુરાચારમાંથી સદાચાર તરફ અને માનવમાંથી મહામાનવ બનાવે છે. તેમણે ઉમેર્યું કે, આજનો યુવાન સારા દેખાવા કરતા સારા બનવા પર ધ્યાન કેન્દ્રિત કરે તે જ મહંત સ્વામી મહારાજ અને સનાતન ધર્મનો સંદેશ છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 6:24 pm

આણંદમાં સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ:બાકરોલના સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં વિવિધ રમતોના સ્પર્ધકો જોડાયા

આણંદ જિલ્લામાં સાંસદ ખેલ મહાકુંભ રમતોત્સવનો શુભારંભ થયો છે. આ મહોત્સવ આણંદના બાકરોલ ખાતે આવેલા યુગપુરુષ સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં શરૂ કરવામાં આવ્યો હતો. સાંસદ મિતેશ પટેલે આણંદ જિલ્લા સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ રમતોત્સવમાં ઇન્ડોર અને આઉટડોર એમ બંને પ્રકારની રમતોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કબડ્ડી, બોક્સિંગ, વોલીબોલ, સ્વિમિંગ, ચેસ અને બેડમિન્ટન જેવી વિવિધ રમતોમાં મોટી સંખ્યામાં સ્પર્ધકો ઉત્સાહભેર જોડાયા હતા. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ રમતગમતના માધ્યમથી ખેલદિલીની ભાવના વધારવાનો, સ્પર્ધકોનો માનસિક અને શારીરિક વિકાસ કરવાનો તેમજ ભવિષ્યમાં દેશને ઉત્તમ રમતવીરો પૂરા પાડવાનો છે. આ પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલ ઉપરાંત જિલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી સુનિલભાઈ શાહ, કોષાધ્યક્ષ સુનિલભાઈ શાહ અને શહેર પ્રમુખ હરેકૃષ્ણભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 6:10 pm

રાપરમાં ખાતરની તીવ્ર અછત:ખેડૂતોને રવિ પાકના વાવેતરમાં હાલાકી, લાંબી કતારો લાગી

કચ્છના રાપર વિસ્તારમાં રવિ પાકના વાવેતર માટે ખેડૂતોને ખાતરની તીવ્ર અછતનો સામનો કરવો પડી રહ્યો છે. ખાતર મેળવવા માટે ખેડૂતોને વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં સહકારી ખરીદ વેચાણ સંઘ અને ખેડૂત મંડળીઓ ખાતે ખાતર માટે ખેડૂતોની ભીડ જોવા મળે છે. કેટલાક ખેડૂતો ઠંડીમાં સવારના 4 વાગ્યાથી જ લાઈનમાં ઊભા રહી જાય છે. પૂરતું ખાતર ન મળવાને કારણે ખેડૂતોને વારંવાર ધક્કા ખાવા પડે છે, જેનાથી તેમને ભારે મુશ્કેલી પડી રહી છે. રવિ પાકના વાવેતરની સિઝનમાં ખાતરની તંગીથી વાવણી કાર્યમાં વિલંબ થઈ રહ્યો છે. આ અંગે ખેડૂત આગેવાન અને રામવાવના માજી સરપંચ કરશનભાઈ મણવરે જણાવ્યું હતું કે, ખાતરની અછતને કારણે ખેડૂતોને વાવણી કરવામાં ભારે તકલીફ પડી રહી છે. તેમણે તાત્કાલિક સરકાર દ્વારા વાગડ વિસ્તારમાં ખાતરની પૂરતી વ્યવસ્થા કરવા રજૂઆત કરી છે. આ બાબતે ખરીદ વેચાણ સંઘના મેનેજર ભુરાભાઈ સુથાર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે આજે સુરેન્દ્રનગર એકમ મારફતે ખાતરની એક ગાડી આવી હતી. 150 જેટલા ખેડૂતોમાં સરકારના ધારા ધોરણ મુજબ 3 થેલી ખાતરનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે તંત્રમાં માંગ કરવામાં આવી છે અને જો નિયમિત ખાતર મળી રહે તો તંગી સર્જાશે નહીં.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 6:07 pm

24 વર્ષની ઉઁમરમાં લૂંટેરી દુલ્હને 15 લગ્ન કર્યા!:બનાસકાંઠાથી લઈ ગીર સોમનાથ સુધી 10 જિલ્લાના યુવકો પાસેથી 52 લાખ પડાવ્યા, લગ્ન માટે બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા

ગુજરાતના અલગ અલગ જિલ્લામાં યુવકો સાથે લગ્ન કરી પૈસા પડાવનાર લૂંટેરી દુલ્હન ટોળકીને મહેસાણા પોલીસે ઝડપી પાડી છે. આરોપીની પૂછપરછ દરમિયાન પોલીસ પણ ચોકી ઉઠી હતી. ગેંગમાં જે ચાંદીની નામની યુવતી ઝડપાઈ છે તેને માત્ર 24 વર્ષની ઉંમરમાં 15 લગ્ન કર્યા હોવાનો ખુલાસો થયો છે. આ તમામ લોકો પાસેથી રોકડ અને દાગીના મળી 52 લાખ રૂપિયા પડાવાયા હતા. મહેસાણા પોલીસે ચાંદનીની સાથે અન્ય એક યુવતીને પણ ઝડપી પાડી છે તેને પણ ચાર લગ્ન કર્યા હોવાની વિગતો મળી છે. લગ્ન માટે કન્યાની તલાશ કરતા યુવકોને આ ટોળકી શોધી કાઢતી હતી. ત્યારબાદ ચોક્કસ રકમ લઈ યુવતીના તેની સાથે લગ્ન કરવામાં આવતા. લગ્નના થોડા જ દિવસોમાં યુવતી ત્યાંથી રફુચક્કર થઈ જતી. યુવક દ્વારા જ્યારે આ મામલે ફોન કરવામાં આવે અને પૈસા પરત માગવામાં આવે તો દુષ્કર્મ કેસમાં ફીટ કરવાની ધમકી આપતા. બહુચરાજીના આદિવાડાના યુવકની ફરિયાદ બાદ ગેંગનો પર્દાફાશ થયોઆ ગેંગનો ભોગ બનેલા યુવકોમાં બહુચરાજીનાં આદીવાડાનો એક યુવાન પણ સામેલ છે. જેની ફરિયાદનાં આધારે પોલીસે આ ગેંગનો પર્દાફાશ કર્યો છે.આદિવાડાના મહેશ (નામ બદલેલ છે)નામના યુવકના 12 ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદની ચાંદની રમેશભાઇ રાઠોડ સાથે થયા હતા. લગ્ન પહેલાં અને લગ્ન વખતે આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂપિયા પાંચ લાખ, સોના-ચાંદીના દાગીના, કપડાં અને મોબાઇલ ફોન મેળવ્યા હતા. લગ્નના ચાર દિવસમાં જ ચાંદની બહાનું બતાવી રફુચક્કર થઈ ગઈલગ્નના માત્ર ચાર દિવસ બાદ જ ચાંદનીના કથિત બનેવી રાજુભાઇ ઠક્કર આદીવાડા ગામે આવ્યા અને ચાંદનીના પિતા બીમાર હોવાનું કહી તેણીને પોતાની સાથે લઇ ગયા હતા. ત્યાર બાદ ચાંદની ઘરે પરત ન આવતા અને મોબાઈલ બંધ આવતા ફરિયાદીને શંકા ગઈ.તપાસ કરતાં ફરિયાદીને જાણવા મળ્યું કે, ચાંદની રાઠોડ અને રાજુભાઈ ઠક્કર (જેણે બનેવીની ખોટી ઓળખ આપી હતી) હકીકતમાં દલાલ હતા. ચાંદનીની માતા સવિતાબેન અને અન્ય એક આરોપી રશ્મિકા પણ આ કૌભાંડમાં સામેલ હતા આ ચારેય ભેગા મળીને ફરિયાદી સાથે ઠગાઈ કરી હતી. ભોગ બનનારે છૂટાછેડા માગ્યા તો દુષ્કર્મ કેસની ધમકી આપી 50 હજાર પડાવ્યાજ્યારે ફરિયાદીએ છૂટાછેડા લેવા માટે દલાલ રાજુભાઈનો સંપર્ક કર્યો, ત્યારે તેઓએ ફરિયાદીને અમદાવાદના નરોડા બોલાવ્યા. ત્યાં ઉપરોક્ત ચારેય આરોપીઓએ ભેગા મળીને ફરિયાદીને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને ડરાવી તેમની પાસેથી બીજા રૂપિયા 50 હજાર પડાવી લીધા. આમ, ફરિયાદી સાથે કુલ રૂપિયા 5 લાખ 57 હજારની ઠગાઈ થઈ હતી. પોલીસે તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવીપોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલાસો થયો કે આ ગુનાહિત ટોળકી માત્ર આ એક કેસ પૂરતી સીમિત નહોતી. આ ટોળકી સમગ્ર રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં લગ્ન કરવા ઈચ્છુક લોકોને ટાર્ગેટ કરતી હતી. તેઓ ખોટા નામે આધાર કાર્ડ અને એલ.સી. બનાવી, ખોટા નામો અને સંબંધો બતાવી લોકોને છેતરતી હતી. આ ટોળકી એક જગ્યાએ લગ્ન છુપાવીને બીજી જગ્યાએ લગ્ન કરી પૈસા પડાવવાનું મોટું કૌભાંડ ચલાવી રહી હતી. લૂંટેરી દુલ્હન ગેંગમાં ઝડપાયેલા આરોપીઓના નામ ચાંદનીએ કરેલા 15 લગ્નની યાદી રશ્મિકા પંચાલે કરેલા લગ્નની યાદી આરોપીઓએ કુલ 52 લાખથી વધુ રૂપિયા પડાવ્યામહેસાણા SP હિમાંશુ સોલંકી એ જણાવ્યું કે, આરોપી ચાંદનીએ કુલ 15 લગ્ન કર્યા છે.દરેક જગ્યાથી અલગ અલગ રકમ લીધી છે ત્યારબાદ ત્યાંથી ફરાર થઇ જાય છે.દરેક લગ્ન દરમિયાન આ ટોળકીએ પોતાના આધારકાર્ડ એલસી પણ નકલી આપતા હતા.આ અંગે બનાવતી દસ્તાવેજનો ઉપયોગ કરવા અંગેની પણ કલમ નો ઉમેરો કરવામાં આવ્યો છે.આટલા લગ્ન દરમિયાન આ ટોળકી એ અંદાજે 52 લાખ અને અન્ય દાગીના પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.ચારે આરોપી પાંચ દિવસના રિમાન્ડ ઉપર છે અને આ આરોપીઓએ વાવ થરાદ,સાબરકાંઠા,પાટણ,અમદાવાદ,રાજકોટ, અમદાવાદ શહેર,ગીર,સોમનાથ, ખેડા,મહેસાણા, મોરબી,ગાંધીનગર આ તમામ જિલ્લાઓમાં લગ્ન કર્યા હતા. આ સમાચાર પણ વાંચોઃલૂંટેરી દુલ્હનની ટોળકી અમદાવાદમાં રહીને ખેલ પાડતી, લગ્ન પછી 10 દિવસમાં રોકડ-દાગીના લઈ ફરાર, 5 પીડિત પરિવારે ભાસ્કરને જણાવી આપવીતી​​​​​​​ ગત 18 જુલાઈ, 2025ના રોજ મહેસાણાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામે લૂંટેરી દુલ્હનનો ભોગ બનેલા ખેડૂતે લાડોલ પોલીસમાં લૂંટેરી દુલ્હન સહિત આખી ગેંગ સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં હવે અન્ય પીડિતો પણ સામે આવી રહ્યા છે. મહેસાણા સહિત અન્ય જિલ્લાના મળીને કુલ 5 કેસ બન્યા છે. આ પાંચ પરિવારે દિવ્ય ભાસ્કર સમક્ષ આપવીતી વર્ણવવાની સાથે ગેંગના ફોટો સાથેની કેટલીક માહિતી આપી છે.​​​​​​​ (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 6:07 pm

સરદાર પટેલની 150મી જન્મજયંતિ, ધ્રાંગધ્રામાં યુનિટી માર્ચ:મોટા અંકેવાળીયાથી નારીચણા સુધી પદયાત્રા, સાંસદ-ધારાસભ્ય ઉપસ્થિત

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના વર્ષ નિમિત્તે 'એકતા મંત્ર'ને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં યુનિટી માર્ચનું આયોજન થઈ રહ્યું છે. આ અંતર્ગત, ધ્રાંગધ્રા વિધાનસભા મતવિસ્તારમાં ભવ્ય પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રા મોટા અંકેવાળીયાના હનુમાન મંદિરથી શરૂ થઈને નારીચણાના હનુમાનજી મંદિર ખાતે સમાપ્ત થઈ હતી. આ પદયાત્રામાં સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. આ અભિયાન 'હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી'ના સંદેશને મજબૂત બનાવવામાં મદદરૂપ થયું હતું. સાંસદ ચંદુભાઈ શિહોરાએ 'એકતા યાત્રા'ના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વને એકતાનો સશક્ત સંદેશ આપ્યો છે. તેમણે ઉમેર્યું કે યુદ્ધોથી ક્યારેય કલ્યાણ થતું નથી અને આ એકતા યાત્રાનો સંદેશ દરેક ગામ સુધી પહોંચાડવો જોઈએ. શિહોરાએ સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, વીર ભગતસિંહ અને ડૉ. શ્યામપ્રસાદ મુખર્જી જેવા મહાનાયકોના બલિદાનોને યાદ કરવા વિનંતી કરી હતી. તેમણે સરદાર સાહેબના નિઃસ્વાર્થ વ્યક્તિત્વનું ઉદાહરણ આપતા કહ્યું કે, જો આપણે નિજી સ્વાર્થ માટે લડતા રહીશું, તો દેશને બચાવી શકીશું નહીં. તેમણે ૨૦૪૭ સુધીમાં ભારતને 'વિશ્વગુરુ' બનાવવાની વડાપ્રધાનની નેમને સાકાર કરવા માટે સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું. ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સરદાર સાહેબનું જીવન માત્ર ઇતિહાસ નથી, પરંતુ તે દેશના પ્રત્યેક નાગરિક, ખાસ કરીને યુવાનો માટે એક જીવંત પ્રેરણાસ્ત્રોત છે. તેમણે યુવાનોને સરદાર સાહેબના ત્યાગ, સમર્પણ અને રાષ્ટ્ર માટેના અખંડિત વિઝનને જીવનમાં ઉતારીને રાષ્ટ્રનિર્માણના કાર્યમાં સક્રિય જોડાવા માટે આગળ આવવા જણાવ્યું હતું. વરમોરાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, સરદાર સાહેબના આદર્શોને અનુસરીને જ ભારત ૨૦૪૭ સુધીમાં વિશ્વગુરુ બની શકશે. તેમણે સૌને સમાજમાં પ્રેમ, સદભાવના અને એકતાનો ભાવ જગાડીને વ્યસનમુક્તિ અને સામાજિક સમરસતાના સંકલ્પ સાથે આગળ વધવા માટે આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે અગ્રણી ગૌતમભાઈ ગેડીયાએ પણ રાષ્ટ્ર એકતા પ્રત્યે સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોનું સ્મરણ કર્યું હતું. પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યએ શાબ્દિક સ્વાગત સાથે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ યુનિટી માર્ચમાં જોડાયેલા તમામ નાગરિકોએ સ્વદેશી અપનાવવા અને આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપવાના સામૂહિક શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, જિલ્લા પંચાયતના સદસ્ય દેવપાલસિંહ, હળવદ APMCના ચેરમેન રજનીભાઈ સહિત જિલ્લા - તાલુકા પંચાયતના પદાધિકારીઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 6:06 pm

આણંદમાં જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો:કલેક્ટરે અરજદારો સાથે ચર્ચા કરી, 6 પ્રશ્નો પૈકી 5 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો

આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોનું ઝડપી નિવારણ કરવાનો છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોની ફરિયાદો પ્રત્યે વહીવટી તંત્ર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં કુલ 6 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટરે સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી જાણકારી મેળવી અને અરજદારો સાથે ચર્ચા કરી હતી. આ પૈકી 5 પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું, જ્યારે એક પ્રશ્ન પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો. રજૂ કરાયેલા પ્રશ્નોમાં પ્રાથમિક શાળા નજીકથી પાનનો ગલ્લો હટાવવા, જાહેર રસ્તો ખુલ્લો કરવા, રસ્તા પરથી ફેન્સિંગ હટાવવા, માપણીની ખરાઈ સંબંધિત રજૂઆત, વેચાણ દસ્તાવેજની નોંધ સામે તકરારી કેસ અને જાહેર રોડ પરના દબાણો દૂર કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો. આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક, નિવાસી અધિક કલેક્ટર અને સંલગ્ન વિભાગના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:59 pm

દમણ અપહરણ-ખંડણી કેસ:પોલીસકર્મીઓની જામીન અરજી ફરી ફગાવાઈ, ચાર્જશીટમાંથી કલમો હટાવાયાના ફરિયાદીના આક્ષેપ

દમણના હાઇપ્રોફાઇલ અપહરણ અને ખંડણી કેસમાં આરોપી બનેલા પોલીસકર્મીઓની જામીન અરજી કોર્ટે ફરી એક વખત ફગાવી દીધી છે. આ કેસમાં ચાર્જશીટમાંથી ગંભીર કલમો હટાવી દેવાયા હોવાના આક્ષેપોને કારણે તપાસની નિષ્પક્ષતા પર સવાલો ઉભા થયા છે. આ ઘટના ઓગસ્ટ મહિનામાં બની હતી, જ્યારે દમણ ક્રાઇમ બ્રાન્ચના કેટલાક પોલીસકર્મીઓ પર ત્રણ પર્યટકોનું અપહરણ કરી તેમને ગોંધી રાખવાનો અને ₹25 લાખની ખંડણી માંગવાનો આરોપ લાગ્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ એક PSI સહિત કુલ નવ પોલીસકર્મીઓ સામે અપહરણ, ધાકધમકી અને ખંડણી જેવી ગંભીર બિનજામીનપાત્ર કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાલ તમામ આરોપીઓ જેલમાં બંધ છે. ફરિયાદી પક્ષે દાવો કર્યો છે કે FIRમાં લગાવવામાં આવેલી અપહરણ અને ખંડણી જેવી મુખ્ય કલમો ચાર્જશીટમાંથી હટાવી દેવામાં આવી છે. આ આક્ષેપ સાથે દમણ પોલીસ આરોપી સ્ટાફને બચાવવાનો પ્રયાસ કરી રહી હોવાનું પણ જણાવાયું છે. કોર્ટે આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતા આ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:59 pm

'માસ્ક પહેરો નહીં તો બીમાર પડશો':ડૉક્ટરોએ ચેતવ્યા, ગુજરાતમાં દિલ્હી જેવું પ્રદૂષણ, ડિજિટલ એરેસ્ટથી કંટાળી ખેડૂતનો આપઘાત

ગુજરાતમાં પણ દિલ્હી જેવી સ્થિતિ દિલ્હી બાદ હવે ગુજરાત પણ પ્રદૂષિત હવાનો શિકાર..19 નવેમ્બરે પ્રદૂષણે અમદાવાદ-રાજકોટમાં પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો. આ દિવસે અમદાવાદમાં 194 અને રાજકોટમાં 197 AQI નોંધાયો. ડોક્ટર્સે લોકોને માસ્ક પહેરવાની અને વહેલી સવારે અને રાત્રે બહાર ન નીકળવાની સલાહ આપી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપના નવ નિર્મિત કાર્યાલયોનું આજે લોકાર્પણ કરાયું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ભાવનગરમાં જિલ્લા ભાજપના નવ નિર્મિત ભાવ કમલમ કાર્યાલયનું લોકાર્પણ કર્યું. તો જગદીશ વિશ્વકર્માએ શહેર ભાજપના કાર્યાલયનું ઓપનિંગ કર્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડિજિટલ અરેસ્ટથી ગભરાઈને ખેડૂતે આત્મહત્યા કરી ડિજિટલ અરેસ્ટથી આત્મહત્યાનો પહેલો કિસ્સો સામે આવ્યો. વડોદરાના કાયાવરોહણના ખેડૂતને દિલ્લી ATSના નામે ફોન કરી તેમના બેંક એકાઉન્ટમાં રૂ. 40 કરોડના ફ્રોડની તપાસનું કહી ધમકાવતા. જેનાથી ડરીને ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કરી લીધો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 747 પોલીસકર્મીઓની આંતરિક બદલીનો આદેશ મહેસાણા જિલ્લા પોલીસ વડાએ એકસાથે 747 પોલીસકર્મીની આંતરિક બદલીઓનો આદેશ કર્યો. જિલ્લામાંથી SMCએ મોટા પ્રમાણમાં દારુનો જથ્થો પકડ્યા બાદ પોલીસ વિભાગ વિવાદોમાં હતો.બદલીઓના નિર્ણયને આ વિવાદ સાથે જોડી અનેક તર્ક -વિતર્ક શરુ થયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સોમનાથ દાદાના શરણે પહોંચી કંગના રનૌત બોલિવુડ એક્ટ્રેસ અને લોકસભા સાંસદ કંગના રનૌતે આજે સોમનાથ મહાદેવના દર્શન કર્યા. કહ્યુ્ં ભારતીય સંસ્કૃતિની ઓળખ પ્રબળ થાય તે માટે ભાણિયાને સાથે લઈને આવી છું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એક્સપ્રેસ હાઈવે પર સતત બીજા દિવસે થયો અકસ્માત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર સતત બીજા દિવસે અકસ્માત થયો. ઓવરટેક કરવા જતા કાર ચાલતી ટ્રકની પાછળ ઘૂસી જતા 2 લોકોના મોત થયા અને 2 ઈજાગ્રસ્ત થયા. તમામ સુરતના હોવાનું સામે આવ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરોપતરાના શેડમાં બનેલા ગોડાઉન-દુકાનોમાં આગ સુરતના ઉમરા -વેલંજા રોડ પર પતરાના શેડમાં બનેલા ભંગારના ગોડાઉન અને ટાયરની દુકાનમાં ભીષણ આગ લાગી.. જેમાં આસપાસની અન્ય દુકાનો પણ ઝપેટમાં આવી ગઈ. બે ફાયર સ્ટેશનની ટીમે આગ પર કાબૂ મેળવ્યો. જો કે આગમાં ગોડાઉન અને ટાયરની દુકાન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાકિસ્તાનથી આવેલું યુગલ પુખ્ત હોવાનું સામે આવ્યું દોઢ મહિના પહેલા પાકિસ્તાનથી કચ્છ આવેલું સગીર પ્રેમી યુગલ પુખ્ત વયનું હોવાની મેડિકલ રિપોર્ટમાં પુષ્ટિ થઈ.બંને ચાલતા ચાલતા ભારતની સરહદે આવી ગયા હતા. યુગલ સામે પાસપોર્ટના નિયમના ભંગનો ગુનો નોંધાયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કનૈયા કોન્ટ્રાક્ટરની ધરપકડથી મચ્યો ખળભળાટ સુરત જિલ્લા ક્રિકેટ એસો.ના પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી.. આર્થિક ગુના નિવારણ સેલે કરોડો રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાતના કેસમાં ધરપકડ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાણપુરના તળાવમાંથી મળ્યો આધેડનો મૃતદેહ જૂનાગઢના રાણપુર ગામના તળાવમાંથી આધેડનો મૃતદેહ મળ્યો. મૃતક રેતીનું ડમ્પર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી છે. જો કે મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ બાદ જાણી શકાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:59 pm

બનાસકાંઠા, વાવ-થરાદ માટે કૃષિ રાહત પેકેજ જાહેર:ઓક્ટોબર, ઓગસ્ટ-સપ્ટેમ્બરના પાક નુકસાન માટે પોર્ટલ ખુલ્લું મુકાયું, 15 દિવસ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

ગુજરાત સરકારે ઓક્ટોબર, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં થયેલા કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાન માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ અંતર્ગત બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો માટે ઓનલાઈન અરજી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ઓક્ટોબર 2025માં થયેલા વરસાદથી પાકને થયેલા નુકસાન માટે બનાસકાંઠા જિલ્લાના વડગામ, અમીરગઢ, પાલનપુર, ડીસા, દાંતા, હડાદ, દાંતીવાડા, કાંકરેજ, ઓગડ, ધાનેરા તેમજ વાવ-થરાદ જિલ્લાના દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતો 14 નવેમ્બર, 2025થી 15 દિવસ માટે ઓનલાઈન અરજી કરી શકશે. આ ઉપરાંત, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં થયેલા કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન માટે વાવ-થરાદ જિલ્લાના થરાદ, વાવ, ભાભર, સુઈગામ, રાહ અને ધરણીધર તાલુકાના ખેડૂતો 11 નવેમ્બર, 2025થી 15 દિવસ માટે કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજી કરી શકશે.જે ગામોમાં 33% થી વધુ પાક નુકસાન થયું છે, તે તમામ ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ VCE (વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર) પાસે જઈને પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતમિત્રોને વહેલામાં વહેલી તકે અરજી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.ઓનલાઈન અરજી કરવા માટે 7-12, 8-અ ના ઉતારા, તલાટીનો વાવેતરનો દાખલો, આધારકાર્ડની નકલ અને બેન્કની પાસબુકની નકલ જેવા જરૂરી આધાર-પુરાવા જોડવાના રહેશે.આ અંગે વધુ જાણકારી માટે ખેડૂતો પોતાના ગામના VCE, તલાટી કમ મંત્રી, સિટી તલાટી, ગ્રામસેવક તેમજ તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી) અથવા તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરી શકે છે. આ માહિતી જિલ્લા ખેતીવાડી અધિકારી, બનાસકાંઠાના મયુરભાઈ પટેલે આપી હતી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:56 pm

30 વર્ષમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા સુરતના 2400 આરોપીઓના ડોઝિયર બનશે:આરોપીના જીવનના દરેક પાસાને આવરી લેવાશે, જાણો લિસ્ટમાં ક્યા ગુનાઓ રડાર પર રહેશે?

દિલ્હીમાં તાજેતરમાં થયેલા કાર બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે. દિલ્હી બ્લાસ્ટ બાદ કેન્દ્રીય ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસના DGPના આદેશ બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસે એક મેગા ડ્રાઈવ શરૂ કરી છે. આ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા 30 વર્ષમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 2400 આરોપીઓના ડોઝિયર તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં તેમની તમામ વિગતો સાથે આરોપીના કોઈ સગા-સંબંધી કે મિત્રો પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અન્ય પડોશી દેશોમાં રહે છે કે કેમ? પ્રેમ સંબંધ જેવા પ્રશ્નો પણ શામેલ છે. શું છે આ 5 પાનાનું સિક્રેટ 'ડોઝિયર'?પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલું આ ડોઝિયર કોઈ સામાન્ય ફાઈલ નથી, પરંતુ તેમાં આરોપીના જીવનના દરેક પાસાને આવરી લેવામાં આવ્યા છે. આ પાંચ પાનાના ડોઝિયરમાં આરોપી પોતે કઈ વિગતો આપે છે અને પોલીસ કઈ માહિતી એકત્ર કરે છે, ડોઝિયરના સૌથી પહેલા પાના પર આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરતા ફોટોગ્રાફ્સ રહેશે. પોલીસ માત્ર એક સાદો ફોટો નહીં, પરંતુ ત્રણ અલગ-અલગ એંગલથી ફોટા લઈ રહી છે, સામેનો ફોટો, જમણી બાજુનો ફોટો, ડાબી બાજુનો ફોટો શામેલ છે આ ફોટા લેટેસ્ટ હોવા જરૂરી છે, જેથી હાલના દેખાવ મુજબ તેને ઓળખી શકાય. આ ફોટા AI ડેટાબેઝમાં અપલોડ કરવામાં આવશે, જેથી CCTV કેમેરા પણ આરોપીને ભીડમાં ડિટેક્ટ કરી શકે. આરોપીની પ્રાથમિક માહિતીથી લઈને ડિજિટલ વર્તણૂક સુધીની માહિતી માગશેઆરોપી પાસેથી તેની પ્રાથમિક વિગતો લેવામાં આવી રહી છે, જેમાં સંપૂર્ણ નામ અને ઉપનામ, હાલનું અને મૂળ સરનામું, બ્લડ ગ્રુપ અને શૈક્ષણિક લાયકાત, શરીરના ઓળખ ચિહ્નો: શરીર પર કોઈ ટેટૂ, ઘાના નિશાન કે અન્ય કોઈ ઓળખ, ઊંચાઈ અને વર્તમાન દેખાવ (જેમ કે દાઢી-મૂછ રાખે છે કે ક્લીન શેવ છે) શામેલ છે. આજના જમાનામાં ગુનેગારો ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, તેથી પોલીસ તેમની ડિજિટલ વર્તણૂક પર પણ નજર રાખી રહી છે. વર્તમાન મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની વિગતો મેળવી રહી છે. ડોઝિયરમાં આરોપીની તમામ સંવેદનશીલ માહિતી નોંધાશેઆ ડોઝિયરની ખાસિયત એ છે કે, તેમાં આરોપીના અંગત જીવન અને સામાજિક સંબંધોને પણ તપાસના દાયરામાં લાવવામાં આવ્યા છે. પોલીસ નીચે મુજબની અત્યંત સંવેદનશીલ માહિતી એકત્ર કરી રહી છે. આરોપીના કોઈ સગા-સંબંધી કે મિત્રો પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અન્ય પડોશી દેશોમાં રહે છે કે કેમ? આ વિગત રાષ્ટ્રીય સુરક્ષા માટે સૌથી મહત્વની છે. જો આરોપીએ કોઈ પ્રોપર્ટી વસાવી હોય, તો તે ક્યારે ખરીદી? તેના માટે પૈસા ક્યાંથી આવ્યા? શું કોઈ હવાલા કૌભાંડ કે ગેરકાયદેસર પ્રવૃત્તિના પૈસા રોકાયા છે? તેની તપાસ થશે. આરોપીને કોઈ રાજકીય કે આર્થિક સમર્થન છે કે કેમ? દુશ્મનાવટ અને પ્રેમ સંબંધ આરોપીને કોની સાથે દુશ્મની છે અને તેના કોઈ પ્રેમ સંબંધો છે કે કેમ? ઘણીવાર ગુનેગારો પ્રેમ સંબંધોને કારણે અથવા દુશ્મનાવટના કારણે પકડાઈ જતા હોય છે અથવા નવી ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય છે.ગુનામાં તેની સાથે કોણ સામેલ હતું? શું તે કોઈ બળવાખોર ગેંગનો સભ્ય છે? હાલમાં તે તેના જૂના સાથીદારોના સંપર્કમાં છે કે નહીં? છેલ્લા 30 વર્ષના રેકોર્ડ તપાસવામાં આવશેસુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતના જણાવ્યા મુજબ, શહેર અને રાજ્યની સુરક્ષા માટે જોખમી હોય તેવા તત્વોને શોધવા માટે છેલ્લા 30 વર્ષના રેકોર્ડ તપાસવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે 6 પ્રકારના ગુનાઓ પર ફોકસ કરવામાં આવ્યું છે. 3800 લોકોના લિસ્ટમાંથી 2400 લોકોના ડેટા કલેક્ટ કરવાની કામગીરી શરુવર્તમાન સ્થિતિ અને એક્શન પ્લાનઆ મેગા ડ્રાઈવમાં ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસ સ્ટેશનો સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે. 3800 જેટલા લોકોનું લિસ્ટ તૈયાર છે. જેમાં હાલ 2400 જેટલા લોકોના ડેટા એકત્રિત કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે. 217 આરોપીઓ જેલમાં છે, જ્યારે 1200 જેટલા ગુજરાત બહાર છે. શહેરથી દૂર રહેતા 170 લોકો પર પણ નજર છે.લિસ્ટમાંથી લગભગ 92 લોકોના મૃત્યુ થયા છે. 700થી વધુ ડોઝિયર તૈયાર થઈ ચૂક્યા છે - સુરત પોલીસ કમિશનરસુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, દિલ્હી બ્લાસ્ટ બાદ 100 કલાકનો ટાર્ગેટ રાખીને આ કામગીરી શરૂ કરવામાં આવી છે. 700થી વધુ ડોઝિયર તૈયાર થઈ ચૂક્યા છે. ખાસ કરીને 2002ના સીમી (SIMI) કેસ અને 2008ના અમદાવાદ-સુરત બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા તત્વો પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે. જે આરોપીઓ વોન્ટેડ છે તેમના ફોટા AI સિસ્ટમમાં નાખવામાં આવ્યા છે. આમ, સુરત પોલીસ 'પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર' (ઉપચાર કરતા સાવચેતી ભલી) ના સિદ્ધાંત પર કામ કરી રહી છે. આરોપી ક્યાં રહે છે, શું કરે છે, કોને મળે છે અને તેની આવક શું છે—આ તમામ માહિતી એકત્ર કરી ભવિષ્યના કોઈપણ સંભવિત ખતરાને ટાળવા માટે તંત્ર સજ્જ બન્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:44 pm

ઈન્સ્ટાગ્રામ પર સસ્તા સોફાની લાલચ ભારે પડી:વાંસદાના રૂપવેલના રહીશે 19,999ના સોફા 9,999માં લેવા જતાં 58 હજાર ગુમાવ્યા

નવસારી જિલ્લામાં સાયબર ગઠિયાઓ દ્વારા છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે. વાંસદા તાલુકાના રૂપવેલ ગામે એક નોકરિયાત પરિવાર સાથે ઈન્સ્ટાગ્રામ પર સસ્તા સોફા ખરીદવાની લાલચમાં રૂ. 58,497ની છેતરપિંડી થઈ છે. ગઠિયાઓએ સસ્તા ભાવે સોફાની જાહેરાત મૂકી OTP મેળવી બેંક ખાતામાંથી રૂપિયા સેરવી લીધા હતા. વાંસદાના રૂપવેલના મહુડી ફળિયામાં રહેતા અને ગણદેવી સહકારી સંઘમાં નોકરી કરતા હસમુખભાઈ વિશ્રામભાઈ પટેલ (ઉ.વ. 44)ના મોબાઈલમાં ગત 31 ઓગસ્ટ, 2025ના રોજ તેમની પુત્રી રિયા ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહી હતી. તે સમયે 'furnitureluxury_.1' નામના એકાઉન્ટ પર સોફા વેચાણની જાહેરાત જોવા મળી હતી. આ જાહેરાતમાં રૂ. 19,999ની કિંમતના સોફા માત્ર રૂ. 9,999માં વેચવાની આકર્ષક ઓફર હતી. સસ્તા સોફા જોઈને રિયાએ જાહેરાતમાં આપેલા વોટ્સએપ નંબર (7578831767) પર સંપર્ક કર્યો હતો. સામેવાળા ઠગે વિશ્વાસમાં લઈ સોફાના બુકિંગ પેટે રૂ. 3000 અને ડિલિવરી ચાર્જના રૂ. 500 એમ કુલ રૂ. 3500 ઓનલાઈન સ્કેનર દ્વારા મંગાવ્યા હતા. આ રકમ હસમુખભાઈના HDFC બેંકના ખાતામાંથી ચૂકવવામાં આવી હતી. ત્યારબાદ ઠગે રિયાને મોબાઈલ પર આવનારો OTP જણાવવા કહ્યું હતું. રિયાએ ભોળપણમાં OTP આપી દેતા જ હસમુખભાઈના વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકના ખાતામાંથી કટકે-કટકે રૂ. 19,999 અને રૂ. 34,998 મળી કુલ રૂ. 54,997 ઉપડી ગયા હતા. આમ, શરૂઆતના રૂ. 3500 અને બાદમાં કપાયેલા પૈસા મળી કુલ રૂ. 58,497નું નુકસાન થયું હતું. ખાતામાંથી મોટી રકમ કપાતા હસમુખભાઈએ તાત્કાલિક તે જ નંબર પર ફોન કર્યો હતો. ત્યારે ગઠિયાએ બહાનું કાઢતા કહ્યું હતું કે, તમારા સોફા ડિલિવર થઈ ગયા છે અને વધારાના પૈસા તમારા સોફા ઘરે આવશે ત્યારે ગૂગલ પે દ્વારા પરત મળી જશે. જોકે, દિવસો વીતવા છતાં સોફા કે પૈસા ન મળતા પોતાની સાથે ફ્રોડ થયાનું જણાતા હસમુખભાઈએ સાયબર હેલ્પલાઈન 1930 પર જાણ કરી હતી અને અજાણ્યા ઈસમો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:44 pm

ખનીજ માફિયાનો મુદ્દામાલ રાજ્યસાત કરવાનો હુકમ:પાલનપુર કોર્ટે ગેરકાયદેસર ખનન સામે દાખલારૂપ ચુકાદો આપ્યો, એક આરોપીનું નામ ઉમેરવા પણ હુકમ

પાલનપુરની એડિશનલ સેશન્સ કોર્ટે ગેરકાયદેસર ખનન કરતા ખનીજ માફિયાઓ સામે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે ખનીજ માફિયાઓનો મુદ્દામાલ રાજ્યસાત કરવાનો આદેશ કર્યો છે, જેનાથી ખનીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ કેસ બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદીમાં ડીસા નજીક ગેરકાયદેસર રેતી ખનન સાથે સંબંધિત છે. ભૂસ્તરશાસ્ત્રી સાવરકાંઠાની ટીમે 9 જાન્યુઆરી, 2025ના રોજ દરોડો પાડીને હ્યુન્ડાઈ કંપનીનું એક એક્સકેવેટર મશીન અને 19 ડમ્પરો જપ્ત કર્યા હતા. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ ₹4.45 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા મશીનો છોડાવવા માટે પાલનપુરની એડિશનલ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સરકારી વકીલ અમિતભાઈ કાનાણીએ ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ટાંકીને સરકાર વતી રજૂઆતો કરી હતી. કોર્ટે અરજદારની અરજી નામંજૂર કરીને એક્સકેવેટર મશીન સહિતનો મુદ્દામાલ રાજ્યસાત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે નોંધ્યું કે ગેરકાયદેસર ખનન પર્યાવરણ અને નદીમાં રહેતા જીવજંતુઓ માટે હાનિકારક છે. વધુમાં, ખનનથી થતા ખાડાઓમાં બનાસ નદીમાં પાણી આવે ત્યારે લોકો ડૂબી જવાના બનાવો પણ બન્યા છે, જે માનવ જીવન માટે જોખમી છે. કોર્ટે આ કેસના મુખ્ય માલિક નાનજી ખીમજીભાઈ વણઝારા, જેમને અગાઉ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યો ન હતો, તેને આરોપી તરીકે ઉમેરવાનો આદેશ આપ્યો છે. આ સાથે, ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 379 (ચોરી) પણ ઉમેરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ અંગે સરકારી વકીલ દિપક પુરોહિતે જણાવ્યું હતું કે, ભૂસ્તર શાસ્ત્રી સાવરકાંઠાની ટીમે 9/1/25ના રોજ ડીસા ખાતે બનાસ નદીમાં રેડ કરી હતી અને રેત ખનન કરતા હ્યુન્ડાઈ કંપનીનું એક્સકેવેટર મશીન તથા 19 ડમ્પર કબજે કરી ₹4 કરોડ 45 લાખનો દંડ કર્યો હતો.એ મશીન છોડાવવા માટે પાલનપુર કોર્ટમાં અરજી દાખલ થઈ હતી. એ મુદ્દામાલ અંગેની અરજી અને સરકારની તરફી અમારી રજૂઆતો તથા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ હતા એ ધ્યાને લઈને કોર્ટે અરજદારની અરજી નામંજૂર કરી છે અને મુદ્દામાલમાં કરોડો રૂપિયાનું એક્સકેવેટર મશીન હતું તે રાજસાત કરવાનો હુકમ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:42 pm

આણંદમાં 1550 મતદારોના નામ બે જગ્યાએ નીકળ્યાં:મતદાર ગણતરી ફોર્મ વિતરણ કામગીરી 100 ટકા પૂર્ણ, અલગ-અલગ કારણોસર મતદાર યાદીમાંથી કુલ 18,650 મતદારોનો ઘટાડો

આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત, જિલ્લાના કુલ 1772 બુથ લેવલ ઓફિસર (BLOs) દ્વારા ઘરે ઘરે જઈને મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મતદારોને ફોર્મનું વિતરણ કરાયું હતું. હાલ આ ફોર્મ પરત મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. 4 નવેમ્બરથી શરૂ થયેલા આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ, આણંદ જિલ્લાના તમામ 7 વિધાનસભા મતવિસ્તારમાં કુલ 18,12,327 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સાથે, 100 ટકા ફોર્મ વિતરણની કામગીરી પૂર્ણ થઈ છે. BLOs દ્વારા તેમના વિસ્તારોમાં ઘરે ઘરે જઈને નાગરિકોને એન્યુમરેશન ફોર્મ વિશે સમજાવવામાં આવ્યું હતું અને તેનું વિતરણ કરાયું હતું. પરત મળેલા ફોર્મ્સને BLOs દ્વારા ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી અંતર્ગત, ખંભાત વિધાનસભા મત વિસ્તારમાં 85,732, બોરસદમાં 60,880, આંકલાવમાં 69,597, ઉમરેઠમાં 68,111, આણંદમાં 50,633, પેટલાદમાં 58,296 અને સોજીત્રામાં 54,111 ફોર્મની ઓનલાઈન નોંધણી કરવામાં આવી છે. કુલ 4,47,360 ફોર્મની ઓનલાઈન નોંધણી સાથે, 24.68 ટકા મતદારોના નામની ઓનલાઈન નોંધણી પૂર્ણ થઈ છે. આ મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) દરમિયાન મહત્વપૂર્ણ તારણો સામે આવ્યા છે. કુલ 10,371 મતદારોનું અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 431 મતદારો BLOs દ્વારા વારંવાર મુલાકાત લેવા છતાં તેમના સરનામે મળ્યા નથી. વધુમાં, 6241 મતદારો આણંદ જિલ્લામાંથી અન્યત્ર સ્થળાંતર કરી ગયા હોવાનું જણાયું છે. આ ઉપરાંત, 1550 મતદારોના નામ બે અલગ-અલગ જગ્યાએ નોંધાયેલા હોવાથી તેમને રદ કરવામાં આવ્યા છે. આ તમામ કારણોસર, આણંદ જિલ્લાની મતદાર યાદીમાંથી કુલ 18,650 મતદારોનો ઘટાડો થશે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:38 pm

3 માળની બિલ્ડિંગના દાદર તૂટી પડતા લોકો ફસાયા, Live રેસ્ક્યૂ:લેડરથી બાળકો અને વૃદ્ધો સહિત 19 રહીશોને ઘરોમાંથી બહાર કાઢ્યા, પાલનપુર જકાતનાકા પાસે સરસ્વતી પાર્કની ઘટના

સુરત શહેરના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલી સરસ્વતી પાર્ક ટાઉનશીપમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ટાઉનશીપમાં આવેલી ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળની રહેણાંક બિલ્ડિંગનો મુખ્ય દાદર અચાનક તૂટી પડ્યો હતો. જેના કારણે એપાર્ટમેન્ટમાં હાજર રહેવાસીઓ ફસાઈ ગયા હતા. જોકે, ફાયર વિભાગની સમયસર અને ઝડપી કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી અને 19 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. દાદર તૂટી પડતા બહાર નીકળવાનો એક માત્ર માર્ગ બંધઘટનાની જાણ થતાં જ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળવાનો એક માત્ર માર્ગ બંધ થઈ જતાં ફસાયેલા લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. સૂચના મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને નજીકના ત્રણ ફાયર સ્ટેશનથી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગ ફસાયેલા 19 લોકોને સહી-સલામત બહાર કાઢ્યાફાયર વિભાગે કોઈપણ સમય બગાડ્યા વિના રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી દીધી હતી. બિલ્ડિંગની ઊંચાઈ અને ફસાયેલા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર જવાનોએ લેડર (સીડી)નો ઉપયોગ કરી લોકોને બહાર કાઢવા ઓપરેશન હાથ ધર્યું હતું. આ રેસ્ક્યૂ ઓપરેશનમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સહિત એપાર્ટમેન્ટમાં હાજર તમામ લોકોને એક પછી એક લેડરથી હેમખેમ નીચે ઉતારવામાં આવ્યા હતા. ફાયર વિભાગ કુલ 19 લોકોને સહી-સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. મોટી દુર્ઘટનામાં કોઈપણ જાનહાનિ નહીંસદનસીબે આ મોટી દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. બિલ્ડિંગની દાદર તૂટી પડવાની ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ બિલ્ડિંગની ગુણવત્તા અને મેઇન્ટેનન્સ અંગે સવાલો ઊભ થાય છે. તંત્ર દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી શકે છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:33 pm

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની બે દિવસીય તાલીમ શિબિર:મહિલા કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષે નેતૃત્વ સૃજનનું ઉદ્ઘાટન કર્યું, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50 ટકા મહિલાઓને ઉતારવાની તૈયારી

ગુજરાત મહિલા કોંગ્રેસ દ્વારા બે દિવસની નેતૃત્વ સૃજન શિબિર યોજવામાં આવી છે. આજે અને આવીતકાલે એમ બે દિવસ ગુજરાત મહિલા કોંગ્રેસ દ્વારા મહિલાઓને તૈયાર કરવા માટે અને સંગઠન મજબૂત કરવા માટે તાલીમ શિબિરનું આયોજન કર્યું છે. જેનું આજે મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અલકા લાંબા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બે દિવસ તાલીમ શિબિરમાં સંગઠન, ટીમ બિલ્ડીંગ, વિવિધ માધ્યમનો સહયોગ, સંવિધાન, લોકતંત્ર સહિતના વિષયો પર રાષ્ટ્રીય નેતાઓ તાલીમ આપવાના છે. તેમજ આગામી સમયમાં મહિલાઓ માટે અલગ અલગ આંદોલન કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની બે દિવસીય તાલીમ શિબિરઆજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી સહિતના નેતાઓ તાલીમ શિબિરમાં હાજર રહ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મહિલા સંગઠનને મજબૂત કરવા માટે, લોકતંત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે, બુથ પર જઈને કઈ રીતે કામગીરી કરવી, સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતે કરવો, SIRની કામગીરીમાં કોઈ ગોટાળા ના થાય તે જોવા માટેની પણ તાલીમ શિબિરમાં આપવામાં આવી હતી. 50 ટકા મહિલાઓને ચૂંટણી મેદાને ઉતારવાની તૈયારીમહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અલકા લાંબાએ જણાવ્યું હતું કે, દેશમાં જે માહોલ છે તે માહોલમાં મહિલાઓને તૈયાર કરવામાં આવશે. ચૂંટણી કંઇ રીતે લડી શકાય તે માટે મહિલાઓને તૈયાર કરવામાં આવી રહી છે. 2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જીતવાની તૈયારી કરી રહ્યા છીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50 ટકા મહિલાઓને ચૂંટણી મેદાને ઉતારવાની તૈયારી કરી રહ્યા છીએ. સંસદના સત્ર દરમિયાન દેશભરની મહિલાઓ સંસદનો ઘેરાવ કરી મહિલા આરક્ષણ મુદ્દે વિરોધ નોંધાવશે. SIR વિરુદ્ધ લાલ કિલ્લા પર ઉગ્ર આંદોલન કરવામાં આવશે. માત્ર એક જ વર્ષમાં ઓનલાઇન 5.50 લાખ મહિલાઓને કોંગ્રેસ સાથે જોડવામાં આવી છે. મહિલાઓને રાષ્ટ્રીય સ્તર પર પ્રતિનિત્વ આપવામાં આવી રહ્યું છે. SIRની કામગીરી શરૂ થઈ ત્યારથી જ અમે તેનો વિરોધ કરી રહ્યા છીએ. 'ચૂંટણી આયોગ ચૂંટણી સમયે મૂકદર્શક બની જાય છે'વધુમાં અલકા લાંબાએ જણાવ્યું હતું કે, વોટ ચોરીના માધ્યમથી સત્તા હાંસલ કરવામાં આવી રહી છે. બેરોજગારી, મોંઘવારી આ તમામ મુદ્દાઓને લઈને લોકોમાં ભારે રોષ છે, જેથી લોકો હવે બદલાવ ઇચ્છી રહ્યા છીએ. ચૂંટણી આયોગ ચૂંટણી સમયે મૂકદર્શક બની જાય છે. રાષ્ટ્રીય ચૂંટણી આયોગનો પણ વિરોધ કરી ઘેરાવ કરીશું. તેમજ રાજ્ય ચૂંટણી આયોગનો પણ ઘેરાવ કરવામાં આવશે. બિહાર ચૂંટણી બાદ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ બેઠક કરી હતી. જેમાં નક્કી થયું છે કે, SIRની કામગીરીનો સખત વિરોધ કરવામાં આવે. સંસદની અંદર અને સંસદની બહાર કોંગ્રેસ ઉગ્ર વિરોધ નોંધાવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મહિલાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:27 pm

દાહોદ સીંગવડ ખાતે એકતા પદયાત્રાનું આયોજન:સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, 'આ માત્ર એક યાત્રા નથી, પરંતુ સરદાર પટેલનો સંદેશ ઘરે ઘરે પહોંચાડવાનો સંકલ્પ છે'

દાહોદ જિલ્લાના સીંગવડ ખાતે સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. પદયાત્રા સીંગવડ કોમ્યુનિટી હોલ મેદાનથી શરૂ થઈ ભમરેચી માતાના મંદિરે સમાપ્ત થઈ હતી. કાર્યક્રમની શરૂઆત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી, ત્યારબાદ દીપ પ્રાગટ્ય થયું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ સ્વદેશી અપનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. સાંસદ જશવંતસિંહ ભાભોરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આ પદયાત્રા માત્ર એક યાત્રા નથી, પરંતુ સરદાર પટેલનો સંદેશ ઘરેઘરે પહોંચાડવાનો સંકલ્પ છે. તેમણે ઉમેર્યું હતું કે, સરદાર પટેલે દેશને કર્તવ્યપથની નવી દિશા આપી છે અને તેમનું વ્યક્તિત્વ આજે પણ પ્રેરણા આપે છે. સાંસદ ભાભોરે સરદાર પટેલને દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક ગણાવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરદાર પટેલ ખેડૂતોના હકો અને અન્યાય સામે લડત આપનાર મહાનાયક હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોર, પ્રાંત અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, દાહોદ ભાજપા પ્રમુખ, જિલ્લા-તાલુકા સભ્યો, સરપંચો, તલાટીઓ, પોલીસ વિભાગ, વન વિભાગ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સ્ટાફગણ અને સીંગવડ ગામજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:21 pm

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 12 ડિસેમ્બરે Ph.d. એન્ટ્રન્સ ટેસ્ટ:13 વિષયની 65 સીટ પર પ્રવેશ માટે વિદ્યાર્થીઓ 20 થી 30 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 16 વિષયની 43 સીટ પર NET (નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ) અને GSET (ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ) ના આધારે પ્રવેશ આપ્યા બાદ હવે 13 એવા વિષયો હતા કે જેમાં નેટ કે જીસેટ પાસ થયેલા વિદ્યાર્થીઓ ન હતા. જેથી આ વિષયોમાં વિદ્યાર્થીઓ માટે પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા લેવા માટેનું શેડ્યૂલ યુનિવર્સિટી દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 13 વિષયની 65 સીટ પર પીએચ.ડી.માં પ્રવેશ માટે તા.20 થી તા.30 નવેમ્બર સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકશે. જે બાદ પીએચ.ડી.એન્ટ્રન્સ ટેસ્ટ તા.12 ડિસેમ્બરના રોજ લેવામાં આવશે. જેનું પરિણામ તા.15 ડિસેમ્બરના જાહેર થશે. જ્યારે પાસ થયેલા વિદ્યાર્થીઓને એડમિશન માટેની DRC (ડિપાર્ટમેન્ટ રિસર્ચ કમિટી) તા.20 ડિસેમ્બરના યોજાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાના કો -ઓર્ડીનેટર ડૉ. શૈલેષ પરમારે જણાવ્યું હતુ કે, યુનિવર્સિટી દ્વારા અગાઉ ઓગસ્ટ મહિનામાં જે વિષયોમાં NET અથવા GSET પાસ થયેલા વિદ્યાર્થીઓ હોય તેઓને પીએચ.ડી.માં એડમિશન માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં 16 વિષયોમાં 43 સીટ ઉપર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યા હતા. જ્યારે 13 વિષયો એવા હતા કે જેમાં નેટ અને જીસેટ પાસ વિદ્યાર્થીઓ ન હતા. જેથી આવા વિદ્યાર્થીઓ માટે હવે પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. જ્યારે અન્ય 6 વિષયોની 20 સીટ એવી છે કે જે હવે ખાલી પડી છે તો આ પ્રકારના વિષયોમાં પ્રથમ રાઉન્ડમાં એડમિશન મેળવી શકેલા વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં નેટ અથવા જીસેટના માર્કના આધારે પ્રવેશ મેળવી શકશે. જેઓએ પ્રવેશ પરીક્ષા આપવાની નહીં રહે પરંતુ મેરીટના આધારે DRC સમક્ષ બોલાવવામાં આવશે. પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ તા.20 થી 30 નવેમ્બર દરમિયાન https://phd.saurashtrauniversity.edu પર ઓનલાઇન ફોર્મ ભરી શકશે. જે માટે વિદ્યાર્થીઓએ રૂ.800 ફી ભરવાની રહેશે. જેમાં 100 માર્કનું MCQ આધારિત પેપર હશે અને તે માટે વિદ્યાર્થીઓને 120 મિનિટનો સમય આપવામાં આવશે. જેમાં 50 માર્કનું રિસર્ચ મેથોડોલોજી અને 50 માર્કનું જે - તે વિષયનું પેપર હશે. કોમ્પ્યુટર બેઇઝ પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવશે. Ph.d. પ્રવેશ પરીક્ષા બાદ ભરવાપાત્ર સીટો વિષય - સીટ એપ્લાઇડ ફિઝિક્સ - 06 બોટની - 02 કેમેસ્ટ્રી - 03 કોમ્પ્યુટર સાયન્સ - 10 હિન્દી - 08 માઇક્રોબાયોલોજી - 06 ફિઝિક્સ - 07 મેથેમેટિક્સ - 01 આંકડાશાસ્ત્ર - 04 ઝૂ લોજી - 05 ફાર્મસી - 09 ફિઝિયોથેરાપી - 02 ભૂગોળ - 02 કુલ - 65 પ્રથમ રાઉન્ડ બાદ ખાલી પડેલી જગ્યા પર મેરીટના આધારે પ્રવેશ વિષય - સીટ કોમર્સ - 01 અર્થશાસ્ત્ર - 02 એજ્યુકેશન - 13 અંગ્રેજી - 02 મનોવિજ્ઞાન - 01 તત્વજ્ઞાન - 01 કુલ - 20

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:15 pm

જામનગરના વોર્ડ નં-4માં પાણીની સમસ્યા:કોર્પોરેટર અને સ્થાનિકોએ કમિશનરને લેખિત રજૂઆત કરી

જામનગરના વોર્ડ નંબર 4માં પીવાના પાણીની સમસ્યાને લઈને કોર્પોરેટર રચનાબેન નંદાણીયા અને સ્થાનિક રહેવાસીઓએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. આ સમસ્યાના તાત્કાલિક નિરાકરણની માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે વોર્ડ નંબર 4ના વિવિધ વિસ્તારોમાં શરૂઆતની 10 મિનિટ સુધી ગંદુ પાણી આવે છે. ત્યારબાદ જ સ્વચ્છ પાણી મળવાનું શરૂ થાય છે. આના કારણે લોકોને શરૂઆતનું ગંદુ પાણી વહી જવા દેવું પડે છે, જેનાથી પાણીનો બગાડ થાય છે અને સમય પણ વેડફાય છે. સ્થાનિકોએ પાણી વિતરણના સમયમાં વધારો કરવાની માંગ કરી છે, જેથી તેમને પૂરતું અને સ્વચ્છ પાણી મળી શકે. આ અંગે અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. કોર્પોરેટરે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:07 pm

ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ, ખેડૂતોને વળતર ચૂકવાયું:77 ખેડૂત ખાતેદારોએ સંમતિ કરાર કર્યા, 34.67 કરોડ રુપિયાનું વળતર અપાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ માટે અસરગ્રસ્ત ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો હતો. આ અંતર્ગત 'સંમતિ એવોર્ડ' જાહેર કરાયો છે, જે હેઠળ જમીન સંપાદનની કામગીરી પારદર્શક અને ઝડપી રીતે આગળ વધી રહી છે. જિલ્લા કલેક્ટર કચેરીના સક્રિય સહયોગથી, 17 નવેમ્બર 2025 સુધીમાં કુલ 77 ખેડૂત ખાતેદારોએ સંમતિ કરાર કર્યા છે. આ તમામ ખાતેદારોને કુલ રૂ. 34.67 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું છે. સરકાર દ્વારા આ પ્રોજેક્ટના 6 ગામોમાં આવતી જમીન માટે વીઘાદીઠ રૂ. 22 લાખથી રૂ. 32 લાખ સુધીનો ઊંચો દર નક્કી કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી અંદાજે 5 હજારથી વધુ ખેડૂત પરિવારોને સીધો લાભ થયો છે, જેમાં ગરીબ, આદિવાસી, વિધવા અને મોટા પરિવારોનો સમાવેશ થાય છે. વળતર ચૂકવણીની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે કરવામાં આવે છે. જમીન સંપાદનની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતાં, કલેક્ટર કચેરી ખાતે સંમતિ કરારના હસ્તાક્ષર બાદ વળતરની રકમ તે જ દિવસે ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. અંકલેશ્વર તાલુકાના સરફુદદિન ગામના ખેડૂત ખાતેદાર માજૂન રુસતમજીએ આ પ્રક્રિયા અંગે જણાવ્યું હતું કે, “સરકારે અમારી જમીનનો સારો ભાવ મંજૂર કરીને યોગ્ય રકમ ચૂકવી છે. કચેરીના સ્ટાફે સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું અને પારદર્શક પ્રક્રિયાથી તમામ કામ એક જ દિવસે પૂર્ણ થઈ ગયું. વળતર તરત જ બેંક એકાઉન્ટમાં જમા થઈ ગયું.” આ પ્રોજેક્ટમાં બોરભાઠા, બોરભાઠાબેટ, સક્કરપોર, સરફુદીન, તરીયા અને ધંતુરીયા ગામોની હયાત તેમજ ડૂબાણની જમીનો માટે 'સંમતિ એવોર્ડ' જાહેર કરાયો છે. કલેક્ટર કચેરીએ બાકી રહેલા ખેડૂતોને પણ વહેલી તકે સંમતિ કરાર કરીને વધારાના વળતરનો લાભ લેવા અનુરોધ કર્યો છે. ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનની આ પ્રક્રિયા રાજ્ય સરકારની ખેડૂતલક્ષી નીતિ અને જિલ્લા વહીવટીતંત્રની કાર્યક્ષમ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડે છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:06 pm

સિવિલ હોસ્પિટલમાં 221મું અંગદાન:કચ્છની બ્રેઈન ડેડ 33 વર્ષીય મહિલાના લીવર અને બે કિડનીના દાનથી 3 દર્દીઓને મળશે નવું જીવન

અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં કચ્છ જિલ્લાના વતની 33 વર્ષીય શારદાબેન મહેશ્વરીના બ્રેઈન ડેથ બાદ તેમના પરિવારજનોએ લીવર અને બે કિડનીનું દાન આપ્યું છે. આ દાન સિવિલ હોસ્પિટલમાં થયેલ 221 મું અંગદાન મળ્યું છે. આ દાનથી ત્રણ દર્દીઓને નવું જીવનદાન મળશે. શારદાબેનને મગજમાં હેમરેજ થતાં પહેલા ભુજમાં અને ત્યાર બાદ 18 નવેમ્બરના રોજ શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન 19 નવેમ્બરે ફરજ પરના તબીબોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. ત્યારે સિવિલ હોસ્પિટલની ટીમે શારદાબેનના પતિ શંકરભાઈ તેમજ ભાઈઓ જીગ્નેશભાઈ અને કિશોરભાઈને અંગદાન વિશે જાણકારી આપી. આ દરમિયાન કચ્છ ખાતે સમાજના આગેવાનોને જાણ થતાં મહેશ્વરી મેઘવાલ સમાજના આગેવાનોએ પરિવાર સાથે સંપર્ક કરી અંગદાન માટે મંજૂરી આપવા માટે અપીલ કરી હતી. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું કે, અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં થયેલા 221 અંગદાનોથી કુલ 732 અંગોનું દાન મળી ચૂક્યું છે. ચક્ષુ અને ચામડી સહિત મળીને હોસ્પિટલને આજ સુધી કુલ 914 અંગો અને પેશીઓનું દાન મળ્યું છે. હાલના અંગદાનમાંથી મળેલું લીવર શહેરની KD હોસ્પિટલના દર્દીને તથા બે કિડની સિવિલ મેડિસિટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. ગાંધીધામ અને કચ્છમાં કાર્યરત સ્વયંસેવકો છેલ્લા ઘણા વર્ષોથી દિલીપ દેશમુખ, ડો. કિશન કટુઆ, ડો. સપના કટુઆ અને ડો. અરવિંદ માતંગના માર્ગદર્શન હેઠળ અંગદાન અંગે જાગૃતિ અને પરિવારજનોને સહાયતા આપતા રહ્યા છે. સમાજના આગેવાનોનું માનવું છે કે અંધશ્રદ્ધા અને જૂની માન્યતાઓમાંથી બહાર આવી અંગદાનમાં બધાએ આગળ આવવું જોઈએ, જેથી વધુને વધુ લોકોનું જીવન બચાવી શકાય.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:04 pm

ડુંગળીના ભાવ તળિયે જતાં ખેડૂતોને રોવાનો વારો:લાખોનો ખર્ચ નિષ્ફળ જતાં ઊભી ડુંગળીને કટર મારી ખાતર બનાવ્યા, અમુકે મહેનતથી ઉગાડેલો પાક પશુઓને ચરાવવા આપી દીધો

​ગુજરાતના ખેડૂતો પર જાણે કુદરત અને બજાર બંનેની બેવડી માર પડી છે. એક તરફ કમોસમી વરસાદે શિયાળુ પાકને ધોઈ નાખ્યો છે, તો બીજી તરફ ડુંગળીના તૈયાર પાકને બજારમાં માત્ર 50થી 60 રૂપિયા પ્રતિ મણના તળિયાના ભાવ મળતા ખેડૂત આલમમાં ભારે નિરાશા વ્યાપી છે. જુનાગઢ પંથકમાં એવી દયનીય સ્થિતિ સર્જાઈ છે કે, ખેતરમાં ઊભી ડુંગળીનો પાક કાઢવાનો ખર્ચ પણ માર્કેટમાંથી મળતા ભાવ કરતાં વધી જતાં, ખેડૂતો લાચારીવશ રોટાવેટર ફેરવીને પાકને જમીનમાં ખાતર બનાવી રહ્યા છે. ​જે ખેડૂતોને ડુંગળીનો પાક સારો થયો છે, તેમને પૂરતો ભાવ ન મળતા સરકાર પાસે તાત્કાલિક વિશેષ સહાય પેકેજની માગ કરવામાં આવી છે. કેટલાક ખેડૂતોએ તો ન છૂટકે ખેતરમાં પશુઓ ચરાવવા માટે માલધારીઓને કહીને મહેનતથી ઉગાડેલો પાક છોડી દીધો છે. ખેડૂતે વેદના વ્યક્ત કરતા કહ્યું 'મકાન વેચવાનો વારો આવ્યો છે'જુનાગઢ જિલ્લાના ખેડૂત અશોક દુધાત્રાએ પોતાની દુઃખદાયક પરિસ્થિતિ વર્ણવતા જણાવ્યું હતું કે, મેં મારા ખેતરમાં બાર વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. સારો પાક થાય તે માટે મેં મજૂરી અને મોંઘા ખાતર પાછળ મોટો ખર્ચ કર્યો, પણ આજે સરકાર ન તો કોઈ વળતરની જાહેરાત કરે છે કે ન તો પાકનો સારો ભાવ આપે છે. નીચા ભાવને કારણે હતાશ થઈને તેમણે માલધારીઓને પાક ચરાવવા માટે કહ્યું, તો સામેથી વીઘા દીઠ માત્ર 500 રૂપિયાની નજીવી રકમ ઓફર થઈ, જે ખેડૂતનું અપમાન સમાન છે. તેમણે ઉમેર્યું, 'જ્યાં સુધી ડુંગળીનો ઊભો પાક ન કાઢું, ત્યાં સુધી હું શિયાળું પાક વાવી શકું તેમ નથી. મેં તો શિયાળુ ઘઉંના બિયારણ માટે 2300 રૂપિયાના બે મણ લેખે ઉધારમાં ઘઉં લીધા છે. આજે હું કાગળિયા લઈને ચારેકોર સહાય માટે રખડું છું.' અગાઉ લીધેલું ધિરાણ ખેડૂતો ક્યાંથી ભરપાઈ કરશે?​અશોકભાઈએ રાજકીય વચનો પર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું, જ્યારે મત જોઈતા હોય ત્યારે નેતાઓ દોડાદોડ કરે છે. મોદી સાહેબે ખેડૂતોની આવક બમણી કરવાના વચનો આપ્યા હતા, પણ અહીં તો આવક શૂન્ય થઈ છે. અગાઉ લીધેલું ધિરાણ ખેડૂતો ક્યાંથી ભરપાઈ કરશે? મને આશા હતી કે સારો ભાવ મળશે તો છોકરાઓને બે સારા કપડાં લઈ આપીશ કે ઘરના પ્રસંગ કરીશ, પણ આ કપરી પરિસ્થિતિમાં તો મારે મકાન વેચવાનો વારો આવ્યો છે. 'ડુંગળીનો બજાર ભાવ કુલ 50,000 રૂપિયા પણ મળે તેમ નથી'જુનાગઢના અન્ય એક ખેડૂત પંકજભાઈ દુધાત્રાએ પાછળના ખર્ચાનો હિસાબ રજૂ કરીને સરકારને પડકાર ફેંક્યો હતો. તેમણે જણાવ્યું કે, 'બાર વીઘામાં ડુંગળી વાવવા પાછળ અઢી લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે, અને પાક તૈયાર કરી માર્કેટ સુધી પહોંચાડવા બીજા એક લાખનો ખર્ચ થાય તેમ છે. પરંતુ હાલમાં ડુંગળીનો બજાર ભાવ કુલ 50,000 રૂપિયા પણ મળે તેમ નથી. તેમની મુખ્ય માંગણી છે કે સરકારે આ નુકસાનીની ભરપાઈ કરવી જોઈએ અથવા સારો ભાવ આપવો જોઈએ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, સરકારે આ ડુંગળીની પણ ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ. નહીં તો હવે અમારે જમીન વેચવા સિવાય કોઈ ઉપાય નથી. ભાવ વધે ત્યારે વિદેશમાંથી આયાત કરનારી સરકાર, જ્યારે ભાવ તળિયે જાય ત્યારે નિકાસ શા માટે કરતી નથી તેવો સવાલ તેમણે કર્યો હતો. ખેતરમાં જ કટર મારીને ખાતર બનાવી રહ્યા છે ખેડૂતોજુનાગઢ શાકભાજી સબ યાર્ડના ઇન્સ્પેક્ટર હરેશ ગજેરાએ માર્કેટની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, 'હાલમાં ડુંગળીની આવક માર્કેટિંગ યાર્ડમાં 270 કટ્ટા જેટલી ઓછી છે. છતાં પણ ભાવો 50થી માંડી અને 140 રૂપિયા સુધીના જ રહે છે. તેમણે ભાવની વિગતો આપતા કહ્યું કે, ખરાબીવાળા અને બદલાના (નબળા) માલના ભાવ 50થી 60 રૂપિયા પ્રતિ મણ. મીડિયમ ડુંગળીના ભાવ 70થી 80 રૂપિયા પ્રતિ મણ. સારી ડુંગળીના ભાવ 100થી 120 રૂપિયા પ્રતિ મણ ભાવ છે. આ વર્ષે પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે મોટું નુકસાન થયું છે અને હાલમાં ઘણા ખેડૂતો હતાશ થઈને ડુંગળીને ખેતરમાં જ કટર મારીને ખાતર બનાવી રહ્યા છે, જે ગંભીર પરિસ્થિતિ તરફ ઈશારો કરે છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:03 pm

લીંબડીમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રા:માય ભારત અને વહીવટી તંત્ર દ્વારા યુનિટી માર્ચનું આયોજન

લીંબડી ખાતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ (પદયાત્રા)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા રાષ્ટ્રીય એકતાનો સંદેશ ફેલાવવાના હેતુથી યોજાઈ હતી. રમત-ગમત અને યુવા મંત્રાલય, ભારત સરકારના માય ભારત સુરેન્દ્રનગર વિભાગ અને લીંબડી વહીવટી તંત્ર દ્વારા આ 8.5 કિલોમીટર લાંબી પદયાત્રાનું આયોજન કરાયું હતું. તે લીંબડી શહેરના સ્વામિનારાયણ મંદિરથી શરૂ થઈને ઘાઘરેટિયા ગામ સુધી યોજાઈ હતી. પદયાત્રા દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર અને રાષ્ટ્રીય એકતાના મહત્વ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા, લીંબડી વિધાનસભાના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પાટડી વિધાનસભાના ધારાસભ્ય પી.કે. પરમાર, લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:03 pm

માલધારીઓ પશુઓ લઇ પંચાયત કચેરીએ પહોંચ્યા:સુરેન્દ્રનગરના ખોડુ ગામમાં માલધારીઓનો અનોખો વિરોધ, ગૌચર જમીનની માંગ

સુરેન્દ્રનગરના ખોડુ ગામમાં માલધારી સમાજે અનોખો વિરોધ નોંધાવ્યો છે. ગૌચર જમીનની માંગ સાથે માલધારીઓ પોતાના પશુધન સાથે ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. માલધારી સમાજની મુખ્ય માંગ ગામની સીમ જમીનમાં ગૌચર જમીન ફાળવવાની છે. ગૌચરની જમીન પર થયેલા દબાણને કારણે સમાજમાં રોષ પ્રવર્તી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન, માલધારીઓએ ગ્રામ પંચાયત કચેરીમાં પોતાના પશુધનને લઈ જઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી પશુધનને ત્યાંથી હટાવવામાં આવશે નહીં. આ ઘટનાને પગલે સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને પરિસ્થિતિને થાળે પાડવાના પ્રયાસો હાથ ધરાયા હતા.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 5:02 pm

19 મો વ્હેલ શાર્ક દિવસ માંગરોળમાં ઉજવાયો,:વિશ્વની સૌથી મોટી માછલી વ્હેલ શાર્કને બચાવવાનું ગુજરાતનું 2 દાયકાનું અભિયાન: સાગરખેડુઓએ 1000થી વધુ શાર્કને જીવતદાન આપ્યું.

ગુજરાતનો દરિયાકિનારો વિશ્વની સૌથી વિશાળ અને લુપ્તપ્રાય જળચર પ્રજાતિ વ્હેલ શાર્કનું એક મહત્વનું રહેઠાણ છે. આ દુર્લભ પ્રજાતિના સંરક્ષણ માટે ગુજરાત રાજ્ય છેલ્લા બે દાયકાથી એક અનોખું અને ભાવનાત્મક અભિયાન ચલાવી રહ્યું છે, જે આજે વૈશ્વિક જૈવવિવિધતા સંરક્ષણ માટેનું ઉદાહરણ બની ગયું છે. આ જ સફળતાની ઉજવણીના ભાગરૂપે આજે, માંગરોળ ફિશિંગ બંદર ખાતે 19મો ગુજરાત વ્હેલ શાર્ક દિવસ – 2025ની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના દરિયાકાંઠે વ્હેલ શાર્કના સંરક્ષણ માટેનો અદ્ભુત પ્રોજેક્ટ વર્ષ 2005 થી કાર્યરત છે. આ પ્રોજેક્ટમાં ગુજરાત વન વિભાગ, વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા (WTI) અને સ્થાનિક સાગરખેડુઓ (માછીમારો) વચ્ચે અભૂતપૂર્વ સહકાર જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા માછીમારોને જાગૃત કરીને તેમને વ્હેલ શાર્કને ન બચાવવાના બદલે તેમને 'પાલક પિતા' બનવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.​છેલ્લા લગભગ 20 વર્ષના આ અભિયાનની સફળતાના આંકડાઓ ખરેખર પ્રશંસનીય છે. માછીમારીની જાળમાં આકસ્મિક રીતે ફસાયેલી અંદાજે 1000 થી વધુ વ્હેલ શાર્કને સાગરખેડુઓએ માનવીય અભિગમ અપનાવીને, પોતાની કિંમતી જાળ કાપીને મુક્ત કરી છે અને તેમને જીવતદાન આપ્યું છે.​​ વ્હેલ શાર્કને સુરક્ષિત રીતે દરિયામાં છોડનાર સાગરખેડુઓને સરકાર તરફથી જાળના નુકસાનના વળતર રૂપે ₹50,000ની રકમ આપવામાં આવે છે. આ વળતર યોજનાએ સંરક્ષણના કાર્યમાં માછીમારોની સક્રિય ભાગીદારીને સુનિશ્ચિત કરી છે. વધુમાં, ગુજરાતના દરિયાકાંઠે વ્હેલ શાર્કના કુલ 18 નવજાત બચ્ચા પણ નોંધાયા છે, જે દર્શાવે છે કે આ વિસ્તાર પ્રજાતિના સંવર્ધન માટે એક મહત્વપૂર્ણ સ્થળ બની રહ્યું છે.​ ગુજરાત વન વિભાગ દ્વારા વર્ષ 2007 થી દર વર્ષે 'કારતક વદ અમાસ'ના દિવસે રાજ્યવ્યાપી વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે જ અનુસંધાને આજે માંગરોળ ફિશિંગ બંદર ખાતે 19મા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.​ આ કાર્યક્રમમાં મુખ્ય વન સંરક્ષક એસ. મનીશ્વરા રાજાની સુશોભિત ઉપસ્થિતિ રહી હતી. નાયબ વન સંરક્ષક અક્ષય જોશીના માર્ગદર્શન હેઠળ, વ્હેલ શાર્કના કાયદાકીય રક્ષણ અને તેને બચાવવા માટે જનજાગૃતિ ફેલાવવાનો સંદેશો જન-જન સુધી પહોંચાડવામાં આવ્યો હતો.​ આ પ્રસંગે જુનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા સાગરખેડુ આગેવાનોનું વન વિભાગ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેઓ આ સંરક્ષણ અભિયાનના સાચા હીરો છે. મંચ પરથી વન અધિકારીઓએ વ્હેલ શાર્કના સંવર્ધન, તેની આર્થિક અને પર્યાવરણીય અગત્યતા સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર માછીમારોને ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.​ કાર્યક્રમના અંતે માંગરોળ પરિક્ષેત્ર વન અધિકારી જી.પી. સહાગીયાએ તમામ મહાનુભાવો, સાગરખેડુઓ અને ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કર્યો હતો. વ્હેલ શાર્કનું સંરક્ષણ માત્ર ગુજરાતની જૈવવિવિધતા માટે જ નહીં, પરંતુ વૈશ્વિક પર્યાવરણ માટે પણ અત્યંત મહત્વનું છે. સાગરખેડુઓ અને વન વિભાગના સંયુક્ત પ્રયાસોનું ગુજરાત મોડલ આજે વિશ્વના અન્ય દરિયાકાંઠાના વિસ્તારો માટે એક પ્રેરણાદાયક કિસ્સો બની ગયું.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:58 pm

એ... એ... દીવાલ અને ઓફિસ ગઈ, VIDEO:ઘુમા રોડ પર કન્સ્ટ્રક્શન સાઈટની દીવાલ અને ઓફિસ ધસી પડી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

શહેરના ઘુમા વિસ્તારમાં સાગલ ગ્રુપની ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટની દીવાલ ઘસી પડી હતી. દીવાલ પડવાના કારણે કન્સ્ટ્રક્શન સાઈટ પર ટેમ્પરરી બનાવવામાં આવેલી ઓફિસો પણ પડી ગઈ હતી. ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ઓફિસ જે બનાવવામાં આવી હતી તેને નુકસાન થયું હતું. પાણીની લાઈન લીકેજ થઈ હતી અને તેના કારણે માટી ભીની થતાં દીવાલ ઘસી પડી હોવાનું જાણવા મળ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગને આ મામલે જાણ કરવામાં આવી હતી. દીવાલ ધસી પડતા ઓફિસોને નુકસાનમળતી માહિતી મુજબ શહેરના ઘુમા વિસ્તારની સાગલ ગ્રુપની કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે. સાગલ સેનર કન્સ્ટ્રક્શન સાઇટ સાઈટ પર 19 નવેમ્બરના રોજ દીવાલ ઘસી પડી હતી. દીવાલ ધસી પડતા કન્સ્ટ્રક્શનની જગ્યા પર જે સાઇટની ટેમ્પરરી ઓફિસ બનાવવામાં આવી હતી તે તમામ ઓફિસ પણ દીવાલ પડવાના કારણે ધસી ગઈ હતી. દીવાલ પડી ગઈ હોવાના કારણે ઓફિસ સહિતની જગ્યાઓને નુકસાન થયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ નહીંજોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ભયજનક જગ્યા હોવાના પગલે ઓફિસ ખાલી કરી દેવામાં આવી હતી જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, પ્રિન્સિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમને જાણ થઈ હતી અને તેઓ દ્વારા મામલે તપાસ પણ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:55 pm

વાપી GIDCમાં સ્થાનિક કામદારોનું શોષણ થતું હોવાનો આક્ષેપ:કામદારોના પગાર, ગંભીર અકસ્માતમાં વળતર સહિતના મુદ્દે MLA અનંત પટેલે લેબર કમિશનરને રજૂઆત કરી

વલસાડ જિલ્લાના ઔદ્યોગિક કેન્દ્ર ગણાતા વાપી GIDCમાં સ્થાનિક કામદારોનું શોષણ અને અન્યાય થતો હોવાનો આક્ષેપ કામદારોએ કર્યો છે. આ અંગે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે લેબર કમિશનર સમક્ષ રજૂઆત કરી છે. તેમણે સ્થાનિક કામદારોની વેદનાઓને વાચા આપીને તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે, અન્યથા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ધારાસભ્ય અનંત પટેલે લેબર કમિશનરને કરેલી રજૂઆતમાં વાપી GIDCની આલોક સહિતની વિવિધ કંપનીઓમાં સ્થાનિક કામદારોને થતા અન્યાયના ગંભીર મુદ્દાઓ પર ધ્યાન દોર્યું છે. તેમણે જણાવ્યું કે, વર્ષોથી કંપનીમાં કામ કરતા સ્થાનિક કામદારો અને અન્ય રાજ્યોમાંથી નવા આવેલા કામદારોને એકસરખો પગાર આપવામાં આવે છે. આના કારણે અનુભવી અને સ્થાનિક કામદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, જે સમાન કામ, સમાન વેતનના સિદ્ધાંતનો ભંગ છે. ઉપરાંત, કંપનીઓમાં કામ દરમિયાન થતા ગંભીર અકસ્માત, શારીરિક નુકસાની અને મોતની ઘટનાઓમાં કંપની દ્વારા કામદાર કે તેના પરિવારને કેટલું વળતર ચૂકવવામાં આવશે, તેની કોઈ જ જાણકારી કે નીતિ કામદારોને અગાઉથી આપવામાં આવતી નથી. અકસ્માત બાદ વળતરની માહિતીના અભાવે પીડિત પરિવારોને ભારે મુશ્કેલી અને અટવાવું પડે છે. સ્થાનિક કામદારોએ સામૂહિક રીતે ધારાસભ્ય અનંત પટેલને આ અંગે રજૂઆત કરી હતી. આ રજૂઆતને ગંભીરતાથી લઈને અનંત પટેલે વાપી ખાતે GIDCની અલગ-અલગ કંપનીના કામદારો સાથે લેબર કમિશનરને મળીને સ્થાનિક કામદારો સાથે થતા આ અન્યાયને તાત્કાલિક દૂર કરવાની માગ કરી હતી. ધારાસભ્ય અનંત પટેલે સ્પષ્ટ માંગ કરી છે કે, લેબર કમિશનર આ સાત મુદ્દાઓની યોગ્ય તપાસ કરીને તાત્કાલિક પગલાં ભરે. તેમણે ચીમકી આપી છે કે, જો આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો તેઓ અને કામદારો કંપનીઓની બહાર વિરોધ પ્રદર્શન કરીને કંપનીની કામગીરી અટકાવવા સુધીનું આંદોલન કરશે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:49 pm

શનિવારે મુખ્યમંત્રી રાજકોટમાં:રાજકોટ મહાપાલિકાના રૂ. 547 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે, કુલ 709 આવાસનો ડ્રો પણ સીએમનાં હસ્તે યોજાશે

રાજકોટ મહાનગરપાલિકાના સ્થાપના દિવસ નિમિત્તે યોજાનાર વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ હવે 22 નવેમ્બર, 2025ના રોજ યોજાશે. અગાઉ કાર્યક્રમ 19 નવેમ્બરના રોજ નિર્ધારિત કરવામાં આવ્યો હતો, પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અન્ય કાર્યક્રમોમાં વ્યસ્તતાના કારણે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે મહાપાલિકાના રૂ. 547 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. આ ઉપરાંત આર્ટ ગેલેરી ખાતે રાજકોટની યશોગાથા ચિત્ર પ્રદર્શન પણ મુખ્યમંત્રીનાં હસ્તે ખુલ્લું મૂકાશે. સાથે મહાપાલિકા તંત્ર હસ્તકના 709 આવસોનો ડ્રો મુખ્યમંત્રીનાં હસ્તે જ કરવામાં આવશે. મેયર નયનાબેન પેઢડીયાએ આ અંગે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્દ હસ્તે રૂ. 547 કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો થવા જઈ રહ્યા છે. આ ભવ્ય કાર્યક્રમ પુ. પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે યોજાશે, જ્યાં વિવિધ વિકાસ કાર્યોની ભેટ રાજકોટની જનતાને મળશે. મુખ્યત્વે, રૂ. 545.07 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. કાર્યક્રમમાં કુલ 49 કામોનું ખાતમુહૂર્ત (રૂ. 522.50 કરોડ) અને 6 કામોનું લોકાર્પણ (રૂ. 22.57 કરોડ) કરવામાં આવશે. મેયરે વિશેષમાં જણાવ્યું હતું કે લોકાર્પણના કાર્યક્રમમાં અંદર કોમ્યુનિટી હોલ સહિતના જે પ્રોજેક્ટ તૈયાર થઈ ગયા છે તે પ્રોજેક્ટ્સને મુખ્યમંત્રીના વરદ્દ હસ્તે ખુલ્લા મૂકવામાં આવશે. સાથે બે મહત્ત્વપૂર્ણ નવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે, જેમાં વર્કિંગ વુમન હોસ્ટેલ અને વોર્ડ નંબર 11માં અત્યાધુનિક લાઈબ્રેરીનો સમાવેશ થાય છે, વર્કિંગ વુમન હોસ્ટેલનો લાભ શહેરની કામકાજી મહિલાઓ અને લાઈબ્રેરીનો લાભ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે. 22 નવેમ્બરે સવારે 10:30 કલાકે મુખ્યમંત્રી રેસકોર્સ ખાતેની આર્ટ ગેલેરી પહોંચશે. જ્યાં “રાજકોટની શહેરી વિકાસ યાત્રા-20 વર્ષની યશોગાથા” નામના પ્રદર્શનનો શુભારંભ સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ ચિત્ર પ્રદર્શનમાં રાજકોટની છેલ્લા 20 વર્ષની શહેરી વિકાસની સફરને રજૂ કરવામાં આવશે. જેમાં રાજકોટ શહેરના ભવ્ય ભૂતકાળને યાદ કરાવતા અલભ્ય ચિત્રો તેમજ 2005થી 2025 સુધીમાં રાજકોટમાં થયેલા જુદા જુદા વિકાસકામો ઉપરાંત આગામી સમયમાં રાજકોટમાં ક્યાં-ક્યાં વિકાસ કામો થશે તેના ચિત્રો અને પ્રતિકૃતિઓ જોવા મળશે. વિકાસ કાર્યોની સાથે રાજકોટના જરૂરિયાતમંદ પરિવારો માટે ખુશખબર આવી છે, કારણ કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તૈયાર થયેલા આવાસોની ફાળવણી માટેનો ડ્રો પણ આ જ કાર્યક્રમમાં કરવામાં આવશે. મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, 709 આવાસો હાલમાં ખાલી છે. જે લાભાર્થીઓને ફાળવવા માટેનો ડ્રો પણ 22 નવેમ્બરના રોજ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત, શહેરી વિકાસ વર્ષ 2025 નિમિત્તે તૈયાર કરવામાં આવેલી કોફી ટેબલ બુકનું વિમોચન, UDY ડોક્યુમેન્ટરીનું નિદર્શન અને QR Based સિટીઝન ફીડબેક સિસ્ટમનું લોન્ચિંગ પણ કરવામાં આવશે, જે નાગરિકોને મહાનગરપાલિકાની સેવાઓ અંગે પ્રતિભાવ આપવા માટે આધુનિક માધ્યમ પૂરું પાડશે. આ કાર્યક્રમ સવારે 11:00 કલાકે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાશે. રાજકોટ મનપાનાં આ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત CMનાં હસ્તે કરાશે 1. વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું કામ (વોર્ડ નં. 1, અટલ સ્માર્ટ સિટી વિસ્તાર, ટીપી સ્કીમ નં. 32). 2. ભાદર પાણી પુરવઠા આધારીત 1016 mm ડાયા.ની એમ.એસ. 3LPE પાઈપલાઈન ગોંડલ ચોકડી (CH-174.450) થી ગ્રીનલેન્ડ ચોકડી (CH-184.00) સુધી નાખવાનું કામ (પેકેજ-4): રૂ. 4427.77 લાખ. 3. ભાદર પાણી પુરવઠા આધારીત 1016 mm ડાયા.ની એમ.એસ. 3LPE પાઈપલાઈન ગોમટા ચોકડી (CH-133.050) થી ગોંડલ પમ્પીંગ સ્ટેશન (CH-143.950) સુધી (પેકેજ-1) અને CH-153.487 થી રીબડા WTP (CH-162.850) સુધી નાખવાનું કામ (પેકેજ-3): રૂ. 4258.87 લાખ. 4. (વિગતો ઉપલબ્ધ નથી): રૂ. 3638.42 લાખ. 5. ભાદર પાણી પુરવઠા આધારીત 1016 mm ડાયા.ની એમ.એસ. 3LPE પાઈપલાઈન ગોંડલ પમ્પીંગ સ્ટેશન (CH-143.950) થી CH-153.487 સુધી નાખવાનું કામ (પેકેજ-2): રૂ. 3345.04 લાખ. 6. વોર્ડ નં. 3 માં રેલનગર, માધાપર તથા મનહરપુર વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ડામર કરવાનું કામ: રૂ. 3338.28 લાખ. 7. રાજકોટ મહાનગરપાલિકા- વેસ્ટ ઝોન હેઠળનો 150 ફૂટ રીંગ રોડ (કટારીયા ચોક-કાલાવાડ રોડથી કણકોટ ચોક) ડેવલપ કરવાનું કામ: રૂ. 3175.47 લાખ. 8. રાજકોટ મહાનગરપાલિકાના માધાપર વિસ્તારમાં 24.19 એમ.એલ. નો જી.એસ.આર., 3 એમ.એલ. નો ઇ.એસ.આર., પમ્પીંગ સ્ટેશન તથા તેને સંલગ્ન ઈલે.-મિક. કામ (2 વર્ષના OM સાથે): રૂ. 3104.35 લાખ. 9. વોર્ડ નં-11માં ટી.પી. સ્કીમ નં.-27, એફ.પી.ન. 2(બી.)માં મવડી સ્મશાનથી આગળ કણકોટ રોડ પર ગોલ ટવીન્સ બિલ્ડીંગ પાસે કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ: રૂ. 2787.28 લાખ. 10. વોર્ડ નં. 6 માં ભાવનગર રોડ પર બેડીપરા વિસ્તાર આવેલ ફાયર સ્ટેશનનું રીડેવલપમેન્ટ કરવાનું કામ: રૂ. 2605.72 લાખ. 11. ન્યારી-1 ડેમ ખાતે 150 MLD નો ઇન્ટેક વેલ બનાવવાનું કામ (બે વર્ષ ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે): રૂ. 2188.80 લાખ. 12. વોર્ડ નં-12માં ટી.પી.સ્કીમ નં.-15 (વાવડી), એફ.પી.ન.-20(એ)માં તપન રાઈટસ પાસે ફાયર સ્ટેશન બનાવવાનું કામ: રૂ. 2005.57 લાખ. 13. ન્યારા હેડ વર્કસ ખાતે 34.27 ML નો GSR બનાવવાનું કામ: રૂ. 1816.55 લાખ. 14. વોર્ડ નં. 11માં ટી.પી. સ્કીમ નં. 27માં આવેલ એફ.પી. નં 19/એ માં લાયબ્રેરી બનાવવાનું કામ: રૂ. 1588.07 લાખ. 15. વોર્ડ નં. 4 માં જુદી જુદી ટીપી સ્કીમમાં ટીપી રોડને વાઈડનીંગ કરી પેવર કરવાનું કામ: રૂ. 1138.88 લાખ. 16. વોર્ડ નં. 5 માં પેડક રોડથી સંતકબીર રોડના છેડા સુધીના વોકળામાં આર.સી.સી. દીવાલ તેમજ લાઈનીંગ કરવાનું કામ: રૂ. 1073.90 લાખ. 17. કણકોટ ચોકડીથી મોટા મવા તથા મુંજકા હેડ વર્કસ માટે 711 mm અને 1219 mm ડાયામીટરની MS પાઇપલાઇન નાખવાનું કામ: રૂ. 881.00 લાખ. 18. વોર્ડ નં. 03 માં સફાઇ કામદાર માટે જામનગર રોડ પર કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ: રૂ. 864.78 લાખ. 19. વોર્ડ નં. 5 માં કુવાડવા રોડથી પેડક રોડ સુધીના વોકળામાં આર.સી.સી. દીવાલ તેમજ લાઈનીંગ કરવાનું કામ: રૂ. 782.77 લાખ. 20. રેસકોર્ષ સંકુલ ખાતે આવેલ માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડીયમના પેવિલિયનનું નવીનીકરણ કરવાનું કામ: રૂ. 711.05 લાખ. 21. વોર્ડ નં-12માં વાવડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના રસ્તાઓને મેટલીંગ કરવાનું કામ: રૂ. 550.87 લાખ. 22. વોર્ડ નં. 12માં વાવડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના રસ્તાઓને મેટલીંગ કરવાનું કામ: રૂ. 550.87 લાખ. 23. મુજકા હેડવર્કસ ખાતે નવો 10.5 એમ.એલ. કેપેસીટીનો GSR બનાવવાનું કામ: રૂ. 533.24 લાખ. 24. વોર્ડ નં. 03 માં રેલનગરમાં શાકમાર્કેટ તથા ફૂડ ઝોન બનાવવાનું કામ: રૂ. 531.17 લાખ. 25. વોર્ડ નં.-18માં કોઠારીયા ગામતળ તથા લાપાસરીને જોડવા, કોઠારીયા સ્મશાન પાસે નદી ઉપર બ્રિજ (બોક્ષ કલવર્ટ) બનાવવાનું કામ: રૂ. 484.45 લાખ. 26. ન્યારી ફિલ્ટર પ્લાન્ટથી મોટા મવા હેડ વર્કસ સુધી 610 mm ડાયામીટરની MS પાઈપલાઈન નાખવાનું કામ: રૂ. 484.04 લાખ. 27. વોર્ડ નં. 6 માં કેરાલા પાર્ક તથા સરકારી કર્મચારી સોસાયટીમાં રસ્તાને ડામર રી-કાર્પેટ કરવાનું કામ: રૂ. 482.48 લાખ. 28. વોર્ડ નં. 3 મા માધાપર ગામના હયાત સ્મશાનને વિદ્યુત સમશાન તરીકે ડેવલપ કરવાનું કામ: રૂ. 400.00 લાખ. 29. વોર્ડ નં. 6 માં ઓટમ એલીવેટ આસપાસનાં વિસ્તારમાં રસ્તાઓને ડામર રી-કાર્પેટ કરવાનું કામ: રૂ. 382.50 લાખ. 30. ન્યારી-1 ડેમ સ્થિત પમ્પીંગ સ્ટેશન માટે 1010 KVA DG સેટ (2 નંગ) તથા આનુષંગિક ઇલેક્ટ્રીક પેનલ, બેકઅપ વિગેરેનાં 3 વર્ષ કોમ્પ્રીહેન્સીવ મેઇન્ટેનન્સ સાથે SITC કરવાનું કામ: રૂ. 340.00 લાખ. 31. કટારીયા ખાતે બ્રિજના કામે નડતરરૂપ પાઈપ લાઈન શિફ્ટ કરવાનું તથા નવી 711 mm ડાયા.ની MS ની 3LPE કોટિંગ પાઈપ લાઈન નાખવાનું કામ: રૂ. 335.84 લાખ. 32. ડ્રેનેજ વોટર OM સેલ હસ્તકના યુનારવાડ ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનનું ઓગમેન્ટેશન સાથે 2 વર્ષનું કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સ કરવાનું કામ: રૂ. 287.88 લાખ. 33. વોટર મેનેજમેન્ટ યુનિટ (ડ્રેનેજ શાખા)ના માધાપર સુએઝ પમ્પિંગ સ્ટેશનથી માધાપર 44.5 એમ.એલ.ડી. એસ.ટી.પી સુધી 500 એમ.એમ. ડાયાની DI પાઇપ લાઇન નાખવાનું કામ: રૂ. 247.25 લાખ. 34. વોટર OM સેલ (ડ્રેનેજ) શાખાના જુદા જુદા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર વેક્યુમ ફીડ ક્લોરીનેશન સીસ્ટમ, ક્લોરીન લીક એબ્સોર્બશન સીસ્ટમ, ઓટો શુટ ઓફ વાલ્વ સાથેનું SITC તથા 2 વર્ષ સુધીનું કોમ્પીડેન્સીવ મેઇન્ટેનન્સ કરવાનું કામ: રૂ. 227.43 લાખ. 35. વોર્ડ નં. 17 માં સહકાર મેઇન રોડ તથા નહેરૂનગર 80' ફૂટ રોડ પર બંને બાજુ ફૂટપાથ તથા સાઇડ સોલ્ડરમાં ઇન્ટર લોકીંગ પેવીંગ બ્લોક નાખવાનું કામ: રૂ. 214.01 લાખ. 36. વોર્ડ નં. 6 માં મારૂતિનગર શેરી નં. 3 (એરપોર્ટ રોડથી) પોલીસ હેડ કવાર્ટસની ગોળાઈ સુધી વોકળો પાકો કરવાનું કામ: રૂ. 200.82 લાખ. 37. વોર્ડ નં. 3 માં રેલનગર, માધાપર, મનહરપુર વિસ્તારમાં મેટલીંગ કરવાનું કામ: રૂ. 188.80 લાખ. 38. વોર્ડ નં. 15 મા ભાવનગર રોડ પર અમુલ સર્કલ થી 80 ફૂટ રોડ પર આવેલ ચંપકભાઈ વોરા બ્રીજ સુધી વરસાદી પાણીની સ્ટોર્મ વોટર પાઈપ લાઈન નાખવાનું કામ: રૂ. 183.05 લાખ. 39. વોર્ડ નં. 5 મા માલધારી સોસાયટીમાં શાળા નં. 67 માં અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનું કામ: રૂ. 177.08 લાખ. 40. વોર્ડ નં. 1 માં નવા ભળેલા વિસ્તારોમાં ડિવાઇડર બનાવવાનું કામ: રૂ. 159.55 લાખ. 41. વોર્ડ નં. 3 મા જામનગર રોડ પર આવેલ મોહન મર્બલ વાળી શેરીથી 150 ફૂટ રીંગ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે પાઈપ ગટર નાખવાનું કામ: રૂ. 97.56 લાખ. 42. વોર્ડ નં. 3 મા ટીપી સ્કીમના જુદા જુદા પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ કરવાનું કામ: રૂ. 83.51 લાખ. 43. વોર્ડ નં. 3 માં નાગરિક બેંકથી ખટારા સ્ટેન્ડ સુધી તથા પોપટપરા સ્મશાન 24.00 મી. ટી.પી. રોડ ફુટપાથ બનાવવાનું કામ: રૂ. 46.95 લાખ. 44. વોર્ડ નં. 8માં સિલ્વર સાઇન થી લક્ષ્મી સોસાયટી મેઈન રોડ, નાનામવા મેઇન રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર પાઇપ લાઇન નાંખવાનું કામ: રૂ. 53.45 લાખ. 45. વોર્ડ નં-8માં કરણ પાર્ક મેઇન રોડ પર અને કૈલાશનગર સોસાયટીમાં ડામર રી-કાર્પેટ કરવાનું કામ: રૂ. 36.49 લાખ. 46. વોર્ડ નં. 3 માં 24.00 મી. ટી.પી રોડ પર પોપટપરા પમ્પીંગ સ્ટેશનથી મેરી ગોલ્ડ એપાર્ટમેન્ટ સુધી સેન્ટ્રલ ડિવાઇડર કરવાનું કામ: રૂ. 34.53 લાખ. 47. વોર્ડ નં. 8માં રિવર એક્શન પ્લાન અંતર્ગત કરણ પાર્ક શેરી નં 1, 3 અને 4માં ડામર રી-કાર્પેટ કરવાનું કામ: રૂ. 30.40 લાખ. 48. વોર્ડ નં. 3 માં HCG હોસ્પિટલથી અયોધ્યા ચોક સુધી સેન્ટ્રલ ડિવાઇડર કરવાનું કામ: રૂ. 22.12 લાખ. 49. (વિગતો ઉપલબ્ધ નથી): રૂ. 10.88 લાખ. રાજકોટ મનપાનાં આ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત CMનાં હસ્તે કરાશે 1. વોર્ડ નં. 1 માં સંતોષ પાર્ક મેન રોડ પર કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ: રૂ. 1208.00 લાખ. 2. વાવડી હેડ વર્કસ ખાતે 12.17 MLનો GSR બનાવવાનું કામ: રૂ. 483.00 લાખ. 3. વોર્ડ નં. 3 માં આવેલ જયુબેલી ગાર્ડનમાં અરવિંદભાઈ મણિયાર હોલ રીનોવેશન કરવાનું કામ: રૂ. 458.00 લાખ. 4. ઈસ્ટ ઝોન વિસ્તારમાં યોગ સ્ટુડિયો બનાવવાનું કામ: રૂ. 34.00 લાખ. 5. વોર્ડ નં. 3 માં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની 3-બ ની નવી વોર્ડ ઓફિસ બનાવવાનું કામ: રૂ. 33.00 લાખ. 6. વોર્ડ નં. 3 માં બેડીનાકા ખાતે 3-અ ની વોર્ડ ઓફિસ નવી બનાવવાનું કામ: રૂ. 30.00 લાખ. ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે. અને લાંબા સમય બાદ સીએમ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને હાલમાં ભાજપનાં પદાધિકારીઓ અને મનપાનાં અધિકારીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં પણ આર્ટ ગેલેરીમાં યોજાનાર રાજકોટની યશોગાથા સમાન ખાસ ચિત્ર પ્રદર્શનને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટની કલ આજ ઔર કલ દર્શાવતા આ ચિત્ર પ્રદર્શનમાં શહેરના ભવ્ય ભૂતકાળનાં અલભ્ય ચિત્રો તેમજ 2005થી 2025 સુધીમાં થયેલા જુદા જુદા વિકાસકામોની તસવીરી ઝલક અને આગામી સમયમાં રાજકોટમાં ક્યાં-ક્યાં વિકાસ કામો થશે તેના ચિત્રો અને પ્રતિકૃતિઓ જોવા મળશે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:48 pm

ડિજિટલ અરેસ્ટેડ વૃદ્ધને બચાવવા સુરત સાયબર ક્રાઈમનું LIVE રેસ્ક્યુ:72 કલાકથી ઘરમાં કેદ સુરત મનપાના નિવૃત્ત એન્જી.ને 46 લાખ ટ્રાન્સફર કરાવતા અટકાવ્યા, વાતચીતનો વીડિયો પણ સામે આવ્યો

સુરતમાં પોતાના જ ઘરમાં 72 કલાક સુધી વીડિયો કોલ પર ‘ડિજિટલ અરેસ્ટ’માં રહેલા સુરત મનપાના નિવૃત્ત એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત દેસાઈને સુરત સાયબર ક્રાઈમ પોલીસે ફિલ્મી અંદાજમાં રેસ્ક્યુ કરી તેમની જીવનભરની કમાણીના ₹46 લાખ બચાવી લીધા. આરોપીઓએ નકલી વર્ચ્યુઅલ કોર્ટ રૂમ બનાવી, જજ-વકીલ-બેંક મેનેજર બતાવીને વૃદ્ધને એટલો ડરાવી દીધા હતા કે, તે પોતાની મિલકત વેચીને પૈસા ટ્રાન્સફર કરવા તૈયાર થઈ ગયા હતા. આ દરમિયાન પોલીસે સમયસર પહોંચીને કેવી રીતે સાયબર માફિયા સાથે વાત કરીને વૃદ્ધને બચાવ્યા એનો વીડિયો પણ સામે આવ્યો છે. તમારા આધાર કાર્ડ અને બેન્ક એકાઉન્ટનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો આ ઘટનાની શરૂઆત સોમવારે બપોરે થઈ હતી. વર્ષ 2022માં નિવૃત્ત થયેલા અમિત દેસાઈ મે મહિનામાં જ કેનેડાથી પરત ફર્યા હતા. તેમને એક અજાણ્યા લોકલ નંબર પરથી ફોન આવ્યો. ફોન કરનારે પોતાની ઓળખ પોલીસ અને CBI અધિકારી તરીકે આપી હતી અને વૃદ્ધને કહ્યું કે, તમારા આધાર કાર્ડ અને બેન્ક એકાઉન્ટનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો છે. કુખ્યાત આરોપી નરેશ ગોયલ સામે જે રેડ કોર્નર નોટિસ જાહેર થઈ છે, તેમાં 45 કરોડના ફ્રોડમાં તમારા દસ્તાવેજો વપરાયા છે. વૃદ્ધને ડરાવવા બોગસ ડોક્યુમેન્ટ્સ અને વોરંટનો મારો ચલાવ્યોઅમિત દેસાઈ આ અંગે કઈ પ્રતિક્રિયા આપે કે કઈ સમજે તે પહેલાં જ તેમના મોબાઈલ પર SBI અને CBIના લેટરપેડ પર લખેલા બોગસ ડોક્યુમેન્ટ્સ અને વોરંટનો મારો ચલાવવામાં આવ્યો હતો. એક નિવૃત્ત અને સન્માનિત અધિકારી માટે આ આઘાતજનક હતું. સાયબર ઠગાઈ કરનારાઓએ એટલી સિફતથી જાળ બિછાવી હતી કે, અમિતભાઈને વિશ્વાસ આવી ગયો કે, તે ખરેખર મુસીબતમાં ફસાયા છે. પીડિતને ડરાવવા વર્ચ્યુઅલ કોર્ટ પણ ઊભી કરવામાં આવીસોમવાર બપોરથી શરૂ થયેલું આ નાટક સતત 72 કલાક સુધી ચાલ્યું. આ દરમિયાન અમિત દેસાઈને 'ડિજિટલ અરેસ્ટ' પણ કરવામાં આવ્યા. સાયબર માફિયાઓ દ્વારા તેમને વીડિયો કોલ ચાલુ રાખીને જ રહેવાની ફરજ પાડવામાં આવી હતી. પીડિત વૃદ્ધને ડરાવવા માટે એક વર્ચ્યુઅલ કોર્ટ રૂમનું વાતાવરણ ઊભું કર્યું હતું. વીડિયો કોલ પર અમિતભાઈને દેખાતુ હતુ કે, સામે જજ બેઠા છે, બે વકીલો દલીલ કરી રહ્યા છે, બેંકના મેનેજર હાજર છે અને CBIના અધિકારીઓ પણ કોર્ટ રૂમમાં છે. આ બધું જ નાટક હતું પરંતુ, તે એટલું વાસ્તવિક લાગતું હતું કે અમિતભાઈ ડરી ગયા. આ ડરને વધારવા માટે સાયબર માફિયાઓએ નકલી કોર્ટમાં એક અન્ય આરોપીને 90 દિવસની જેલની સજા ફટકારી અને વૃદ્ધને કહેવામાં આવ્યું કે, જો તમારે જેલ નથી જવું, તો સહકાર આપવો પડશે. આ દૃશ્યો જોઈને અમિત દેસાઈ ફફડી ઉઠ્યા હતા. પ્રોપર્ટી અને બેંક બેલેન્સ ખાલી કરીને 46 લાખ જમા કરવાનું કહેતા શંકા ગઈસોમવારથી ચાલી રહેલા આ ખેલનો અંત ત્યારે આવ્યો કે, જ્યારે બુધવારે સાયબર માફિયાઓએ અમિત દેસાઈ પાસે તેમની તમામ પ્રોપર્ટી અને બેંક બેલેન્સ ખાલી કરીને 46 લાખ રૂપિયા RBIના નામે આપેલા એકાઉન્ટમાં જમા કરાવવાનું દબાણ કર્યું. આ સમયે અમિતભાઈને શંકા ગઈ અને હિંમત કરીને પોતાના ભાઈને જાણ કરી અને તેમના ભાઈએ તુરંત જ સુરત સાયબર સેલનો સંપર્ક કર્યો. સાયબર સેલના ડીસીપી બિશાખા જૈનની સૂચનાથી પોલીસની એક ટીમ તાત્કાલિક અમિત દેસાઈના ઘરે પહોંચી. જ્યારે પોલીસ દરવાજામાં પ્રવેશી ત્યારે અમિત દેસાઈ તે જ 'વિજય ખન્ના' નામના સાયબર માફિયા સાથે વીડિયો કોલ પર હતા. પોલીસ અધિકારીઓએ ધીમેથી રૂમમાં પ્રવેશ કર્યો અને આખી બાજી પલટી નાખી. પોલીસ અધિકારી જ્યારે અમિતભાઈની બાજુમાં પહોંચ્યા ત્યારે સાયબર માફિયા (વિજય ખન્ના)ને કંઈક અજુગતું લાગ્યું. તેણે અમિતભાઈને પૂછ્યું, તમારી આજુબાજુ કોણ છે? આ સાંભળતા જ સાયબર સેલના અધિકારીએ અમિતભાઈના હાથમાંથી મોબાઈલ આંચકી લીધો અને કેમેરો પોતાની તરફ ફેરવી દીધો. અસલી અને નકલી પોલીસ વચ્ચેનો સીધો સંવાદસાયબર પોલીસ: (કડક અવાજે) તમારો ફેસ (ચહેરો) બતાવો...સાયબર માફિયા: (ઉદ્ધતાઈથી) ફેસ જોઈને તમે શું કરશો? તમે મારી સામે વીડિયો ઓન કરીને બેસી જાવ..સાયબર પોલીસ: તમારું નામ શું છે? તમે ખન્ના સર છો?સાયબર માફિયા: હા.. હું જ ખન્ના છું...સાયબર પોલીસ: તમે તમારો ફેસ નથી બતાવતા, ફેસ તો બતાવો..સાયબર માફિયા: તમને શું લાગે છે, અમે મૂર્ખ બનાવીએ છીએ? તમે મારું ફેસ જોઈને શું કરશો.. ફેસ જોઈને શું તમે મને પકડી શકો છો?? આટલું બોલીને સાયબર માફિયાએ ફોન કટ કરી નાખ્યો. પીડિતે પોલીસને જણાવી પોતાની 72 કલાકની આપવીતીપોલીસની કામગીરીથી રાહત અનુભવતા અમિત દેસાઈએ પોતાની આપવીતી વર્ણવી હતી. તેમણે કહ્યું, સોમવારથી તેઓએ મને બાનમાં લીધો હતો. મને એક પળે પણ ફોન ડિસ્કનેક્ટ કરવાની મનાઈ હતી. વિજય ખન્ના નામનો શખ્સ સતત વોટ્સએપ કોલ પર મારી સાથે જોડાયેલો હતો. તેઓ મને માત્ર જમવા માટે થોડી વાર રજા આપતા હતા. મને એ પણ સૂચના હતી કે, મોબાઈલની બેટરી પૂરી ન થવી જોઈએ એટલે હું ચાર્જિંગમાં ફોન રાખીને જ બેસી રહેતો હતો. તેમણે મારી પાસે 5 પ્રકારની ડિટેલ્સ માંગી હતી જેમાં પ્રોપર્ટી અને બેંકની વિગતો હતી. મને કહ્યું હતું કે એક જ દિવસમાં બધું વેચીને પૈસા ટ્રાન્સફર કરવા પડશે. બસ, આ એક જ દિવસમાં મિલકત વેચવાની વાતથી મને શંકા ગઈ અને મેં ભાઈનો સંપર્ક કર્યો. આ કોલ્સ અને ઓપરેશન મોટાભાગે વિદેશથી હોય છેસાયબર સેલનું નિવેદન અને ચેતવણીઆ સમગ્ર ઓપરેશન પાર પાડનાર સુરત સાયબર સેલના ડીસીપી બિશાખા જૈને જણાવ્યું હતું કે, અમને જાણકારી મળતા જ અમારી ટીમ અમિતભાઈના ઘરે પહોંચી ગઈ હતી. તે સમયે તેઓ સંપૂર્ણપણે ડિજિટલ અરેસ્ટની સ્થિતિમાં હતા અને ખૂબ જ ડરેલા હતા. અમે તેમનું સફળ રેસ્ક્યુ કર્યું છે. તેમણે તપાસ વિશે માહિતી આપતા કહ્યું કે, આ કોલ્સ અને ઓપરેશન મોટાભાગે વિદેશથી, ખાસ કરીને સાઉથ-ઈસ્ટ એશિયાના દેશોમાંથી ઓપરેટ થતા હોય છે. અમે નંબર ટ્રેસિંગ શરૂ કર્યું છે અને આરોપી સુધી પહોંચવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. નાગરિકો માટે ખાસ અપીલપોલીસ વિભાગે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ભારતીય કાયદામાં 'ડિજિટલ અરેસ્ટ' જેવી કોઈ જોગવાઈ નથી.કોઈપણ તપાસ એજન્સી (CBI, ED, પોલીસ) ક્યારેય વોટ્સએપ કે સ્કાયપે (Skype) કોલ પર તપાસ કરતી નથી. કોર્ટની કાર્યવાહી ક્યારેય મોબાઈલ સ્ક્રીન પર આ રીતે થતી નથી. જો આવો કોઈ કોલ આવે તો ગભરાયા વગર તાત્કાલિક 1930 પર કોલ કરો અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. સુરત પોલીસની આ ત્વરિત કાર્યવાહીએ એક નાગરિકની જીવનભરની મૂડી બચાવી લીધી છે પરંતુ, સાયબર માફિયાનો પોલીસ સાથેનો તે સંવાદ ચેતવણીરૂપ છે કે આપણે સૌએ ડિજિટલ દુનિયામાં કેટલા સાવધ રહેવાની જરૂર છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:45 pm

ધમકીભર્યા ઈમેઈલ મોકલનાર રેની જામીન માટે હાઈકોર્ટ પહોંચી:કોર્ટે કહ્યું- તમે થ્રેટ ઈમેઈલ મોકલ્યો હતો, તમારા લીધે કેટલા લોકો હેરાન થયા; અરજદાર બોલી- મને પકડ્યા બાદ પણ ઈમેઈલ થયા

અમદાવાદમાં બોપલ વિસ્તારમાં આવેલી શાળા, સરખેજમાં આવેલી શાળા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ પ્લેન ક્રેશ વખતે BJ મેડિકલ કોલેજ અને હાઈકોર્ટને બોમ્બ મૂકાયાના થ્રેટ ઇમેઇલ દિવીજ પ્રભાકરના નામથી મળ્યા હતા. સાયબર ક્રાઈમે ઇમેઇલ મોકલનાર રેની જોશિલ્ડા નામની આરોપી યુવતીની ચેન્નઈથી ધરપકડ કરી હતી. તેને કસ્ટડીમાં પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી. અત્યારે રેની જેલમાં છે, ત્યારે તેને ઉપરોક્ત ફરિયાદો પૈકી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ મુકવાની ધમકી, પોલીસ સાથે ઝપાઝપી અને પ્લેન ક્રેશ વખતે BJ મેડિકલ કોલેજને અપાયેલી ધમકીના કેસમાં તેને જામીન મળી ચૂક્યા છે.બોપલની શાળામાં બોમ્બ મૂકવાની ધમકીના અને સરખેજની ફરિયાદમાં સેશન્સ કોર્ટે રેનીના જામીન નકારતા તે જામીન અરજી લઈને ગુજરાત હાઇકોર્ટ પહોંચી છે. બે કેસમાં જામીન મેળવવા હાઈકોર્ટમાં રેનીએ જામીન અરજી કરીજેનીના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તેને અમદાવદામાં નોંધાયેલી અન્ય ફરિયાદોમાં જામીન મળી ગયા છે. ફક્ત સરખેજ અને બોપલ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જામીન મળ્યા નથી. કોર્ટે કહ્યું હતું કે તમે ગુજરાત હાઇકોર્ટને પણ થ્રેટ ઇમેઇલ મોકલ્યો હતો. તમારા કારણે કેટલા લોકો હેરાન થયા. શા માટે સેશન્સ કોર્ટે તમારા જામીન નકાર્યા છે ? અરજદારે જણાવ્યું હતું કે તેના પકડાઈ ગયા બાદ પણ કોર્ટને થ્રેટ ઇમેઇલ મળ્યા છે. જો કે કોર્ટે સરકારી વકીલને સૂચના મેળવીને આ અંગે વધુ કાર્યવાહી મંગળવારે રાખી છે. સેશન્સ કોર્ટે નોંધ્યું હતું- ચાર્જશીટ ફાઈલ થવાથી સંજોગો બદલાઈ જતા નથીસેશન્સ કોર્ટે અરજદારના જામીન ફગાવતા નોંધ્યું હતું કે, તેણીએ લોકોને ભયમાં મૂકી દીધા હતા. તેને કરેલા કૃત્યથી આવી ખરેખરની ધમકી મળે ત્યારે રિસ્પોન્સ સમય ઘટી જાય તેમ છે. ફક્ત ચાર્જશીટ ફાઇલ થવાથી સંજોગો બદલાઈ જતા નથી. નીચલી કોર્ટમાં રેનીના વકીલે રજૂઆત કરી હતી કે તેણે અરેસ્ટ કર્યા પછી પણ તેના નામના ધમકી ભર્યા મેઇલ મળ્યા જ છે. એટલે આ ગુન્હામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે. પરંતુ પોલીએ તેને પકડી ન શકતા, રેનીને પકડીને કોર્ટ સમક્ષ રજુ કરી દેવાઈ છે. રેનીના ઇલેક્ટ્રોનિક ડીવાઈસ પોલીસ પાસે છે. ડાર્ક વેબનો આરોપીઓ કોઈ ઉપયોગ આક્ષેપ પ્રમાણે કર્યો નથી. રેની પર 11 રાજ્યોમાં ધમકીભર્યા ઈમેઈલ મોકલવાનો આરોપસામે સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી યુવતી ટેકનોલોજીનું જ્ઞાન ધરાવે છે. તેની સામે ગંભીર ગુન્હો છે. તેને ગુજરાત, દિલ્હી, તમિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે જેવા 11 રાજ્યોમાં થ્રેટ ઇમેઇલ મોકલ્યા હતા. તેને જામીન આપવામાં આવે તો તે આવું કૃત્ય ફરીથી આચરી શકે તેમ છે. વળી ગુજરાત હાઇકોર્ટમાં બોમની ધમકી મળતા હાઇકોર્ટ ખાલી કરાવવી પડી હતી. રેનીના આવા કૃત્યથી વાઘ આવ્યો રે વાઘ આવ્યો તે વાર્તા મુજબનો માહોલ બન્યો છે. ખરેખર જ્યારે બોમ્બ મુકાય ત્યારે તેને કોઈ ગંભીરતાથી લેશે નહીં. આથી આરોપીની જામીન અરજી રદ કરી નાખવી જોઈએ. પોતાના પ્રેમીને બદનામ કરવા માટે તેના નામે ઈમેઈલ કર્યા હતાઆ કેસમાં પોલીસ થિયરી મુજબ યુવતી પોતાની જ કંપનીમાં કામ કરતા એક કર્મચારીના એક તરફ પ્રેમમાં હતી. પરંતુ તેનો પ્રેમી પરિણીત છે. તેને બદનામ કરવા અને તેના છૂટાછેડા કરાવવા યુવતીએ આવી હરકત કરી હતી. યુવતીએ તેના પ્રેમીના નામનું બોગસ ID બનાવી તેને બદનામ કરવા પ્રયત્ન કર્યો હતો. જેથી તેને દેશમાં જુદી જુદી સંસ્થાઓને બોમ્બથી ઉડાડવા ધમકીઓ આપી હતી. રેની જોશીલ્ડાનાં માતા શિક્ષિકા અને પિતા ખાનગી કંપનીમાં કર્મચારીગુજરાત સહિત 11 રાજ્યની પોલીસની ઊંઘ ઉડાડી દેનારી રેની જોશીલ્ડા સામાન્ય પરિવારમાંથી આવતી હોવાનું જાણવા મળ્યું છે. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ઘટનાઓને લઈ ધમકીભર્યા ઈ-મેલ કરનાર રેની વર્ક ફ્રોમ હોમ કરતી હતી. તેનાં માતા શિક્ષિકા છે અને પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. અમદાવાદ સાયબર ક્રાઈમે રેનીને ચેન્નઈથી ઝડપી પાડ્યા બાદ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ગુરુવાર સુધીના રિમાન્ડ આપ્યા છે. ખાસ કરીને 24 જૂને મંગળવારે હાઇકોર્ટને જે ધમકીભર્યો મેઈલ મળ્યો છે એ પણ તેના નામનો છે એટલે હવે પોલીસ તેની અલગ એન્ગલથી તપાસ કરી રહી છે. આ ઇ-મેલ કરવામાં ડાર્કવેબની સર્કિટમાં બીજા લોકો પણ હોવાનું માનવામાં આવે છે. IPLના મેચ પૂર્વે મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતીઅમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 એપ્રિલે IPLની મેચ યોજાય એ પૂર્વે જ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ મળતાં એજન્સીઓમાં દોડધામ મચી હતી. ઇ-મેલમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઇ-મેલ થોડા સમય પહેલાં GCAને મળતાં આ અંગેની જાણ અમદાવાદ પોલીસને કરવામાં આવી હતી. એ અંગે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ અને બોમ્બ-સ્ક્વોડ દ્વારા સ્ટેડિયમમાં ચેકિંગ હાથ ધર્યું હતું. GCAને જે ઈ-મેલ મળ્યો હતો એ જર્મની-રોમાનિયાથી ઓપરેટ થયો હોવાની પ્રાથમિક વિગતો મળી હતી. જીનિવા લિબરલ સ્કૂલમાં બ્લાસ્ટની ધમકી આપી હતીઅમદાવાદમાં IPLની ફાઇનલ વચ્ચે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. અમદાવાદમાં SP રિંગરોડ પર આવેલી જીનિવા લિબરલ શાળાને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. શાળાને જે ઈ-મેલ કરવામાં આવ્યો હતો એમાં દુષ્કર્મ અને દહેજના એક કેસને લઈ વાત કરવામાં આવી હતી. પોલીસ આ કેસમાં ઊંઘતી હોવાનો અને યોગ્ય તપાસ ન કરી રહી હોવાનો આક્ષેપ કરાયો હતો. મેલમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વર્ષ 2023માં હૈદરાબાદની એક હોટલમાં યુવતી પર થયેલા રેપના કેસમાં પોલીસનું ધ્યાન ખેંચાય એ માટે શાળામાં બ્લાસ્ટ કરીશું. રેપમાં દિવિજ નામનો ઉલ્લેખ કરાયો છે. દિવિજનાં માતા-પિતા દ્વારા પુત્રવધૂ પાસે એક કરોડના દહેજની માગણી કરી હોવાનો આક્ષેપ કરાયો હતો.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:38 pm

'ગુંડો મને મારે એની પહેલાં હું જ દવા પી લઉં':સુરતમાં પાનના ગલ્લાના માલિકને ગાંજો વેચવાનું દબાણ કરતા સુસાઇડ નોટ લખી આપઘાત, થોડા દિવસ પહેલા પણ મૃતક ઘર છોડી ચાલ્યો ગયો હતો

સુરતમા લકસાણામાં રહેતો અને સણિયા ગામમાં પાનનો ગલ્લો ચલાવતા યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. ખડસદ ખાતે રહેતા વિજય સામત નામના યુવકે પાનના ગલ્લા ઉપર ગાંજો વેચવા માટે દબાણ કરતા કંટાળી ઝેર પી આત્મહત્યા કરી હતી. મૃતકે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, વીજય સામત ગુંડો છે અને તેના કારણે આવું પગલું ભરું છું. પોલીસે વિજય સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને ધરપકડ કરી છે. મૃતક ભાગીદારીમાં પાનનો ગલ્લો ચલાવતા હતામળતી માહિતી પ્રમાણે, મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના રામગઢના વતની અને હાલ લસકાણા સ્થિત સોસાયટીમાં રહેતા 42 વર્ષીય જગદીશ ગોવિંદ બોરડ સારોલી ખાતે ભાગીદારીમાં પાનનો ગલ્લો ચલાવતા હતા. જગદીશ બોરડે ગઈકાલે બપોરે પાનના ગલ્લા પરથી ઘર આવીને ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. આરોપી પાનના ગલ્લામાં ગાંજો વેચવા માટે દબાણ કરતોપોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત પહેલા લખેલી મરણ નોંધની એક ડાયરી જગદીશભાઈના ખિસ્સામાંથી મળી આવી હતી. આ મરણ નોંધમાંથી એ હકીકત સામે આવી હતી કે, વિજય સામત કે જે ખડસદ ઓમ રેસીડેન્સીમાં રહે છે, વિજય સામત મૃતક જગદીશભાઈને તેમના પાનના ગલ્લામાં ગાંજો વેચવા માટે દબાણ કરતો હતો અને પૈસા માંગી માર મારી અને સુરત છોડાવી દેશે તેવી ધમકી આપતો. આ વીજય સામત ગુંડો છે અને તેના કારણે આવું પગલું ભર્યું હોવાની મરણ નોંધ ડાયરીમાં લખી હતી. 'વિજય મને મારે એ પહેલાં હું જ ઝેર પીને મરી જાવ છું'આ અંગે લસકાણા પોલીસે સુસાઈડ નોટ તેમજ મૃતકની માતા રસીલા બોરડની ફરિયાદ લઈ આરોપી વિજય સામત સામે દુસ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. જગદીશ બોરડે દવા પીધા પછી માતા રસીલાબેનને છેલ્લા શબ્દોમાં જણાવ્યું હતું કે, 'આ વિજય સામત મને હેરાન કરતો હોય અને મને મારવાની ધમકી આપતો હોવાથી ઈ મને મારે એની કરતા હું જાતે દવા પીને મરી જાવ અને તેને જેલ હવાલે કરજો'. થોડા દિવસ પહેલા પણ મૃતક ઘર છોડી ચાલ્યો ગયો હતોથોડા દિવસ પહેલા 4 નવેમ્બરે પણ જગદીશ બોરડ ઘર છોડીને ચાલ્યો ગયો હતો. ત્યારે પરિવારે લસકાણા પોલીસ સ્ટેશનમાં પણ મીસીંગની ફરિયાદ નોંધાવી હતી. થોડા દિવસો બાદ જગદીશ બોરડ ઘરે પાછો આવી ગયો હતો. દરમિયાન 18 નવેમ્બરે જગદીશ તેની માતા રસીલાબેન સાથે પોલીસ સ્ટેશને જઈ તેના હાજર થવાનું નિવેદન પણ લખાવ્યું હતું. ત્યારબાદ પોલીસ સ્ટેશનેથી ઘરે આવીને તેણે બપોરે રૂમમાં જઈ ઝેર પી આત્મહત્યા કરી લીધી હતી. આરોપી હેરાન કરતો હોવાની માતાએ મીસીંગ FIRમાં કોઈ વિગત ન લખાવીલસકાણા પોલીસ મથકના પીઆઇ કે. એ ચાવડાએ જણાવ્યું હતું કે, આ કેસમાં આરોપી વિજય સામતની ધરપકડ કરી લેવામાં આવી છે. મૃતક જગદીશની માતા અગાઉ જગદીશની મીસીંગની ફરિયાદ આપવા આવી હતી, ત્યારે જગદીશને વિજય સામત તરફથી ગાંજો વેચવા માટે દબાણ અપાતો હતો, સુરત છોડી દેવાની ધમકી આપતો હતો તે વિશે મીસીંગની ફરિયાદ કોઈ વિગત જણાવી ન હતી. આરોપી વિજયની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. વિજય સામે સુરત શહેર અને જિલ્લામાં 10થી વધુ ગુનાઆરોપી વિજય ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. આરોપી વિજય સામે સુરત શહેર અને જિલ્લામાં 10થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. વિજય સામે અટકાયતી પાસાની પણ કાર્યવાહી થયેલી છે. આરોપી વિજય સામે કામરેજ પોલીસ સ્ટેશનમાં સાત જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે લસકાણામાં એક, કાપોદ્રામાં એક, સરથાણામાં એક, અને પુણા પોલીસ સ્ટેશનમાં એક એમ કુલ 10થી વધુ કેસ નોંધાયેલા છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:35 pm

પાટણમાં 80 ગ્રામ ગાંજા સાથે યુવક ઝડપાયો:ત્રણ દરવાજા પાસેથી રૂ. 4000નો જથ્થો જપ્ત, NDPS હેઠળ ગુનો નોંધાયો

પાટણ શહેરના ત્રણ દરવાજા પાસેથી ગઈકાલે રાત્રે 80 ગ્રામ ગાંજા સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. પાટણ એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા રૂ. 4000ની કિંમતનો માદક પદાર્થ જપ્ત કર્યો હતો. આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે આશરે સાડા દસ વાગ્યાના સુમારે પાટણ એ ડિવિઝન પોલીસે ત્રણ દરવાજા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન અન્નપૂર્ણા સોસાયટીમાં રહેતા ભાવેશ ઠાકોર (ઉંમર 22) નામના યુવકને શંકાસ્પદ હાલતમાં રોકવામાં આવ્યો હતો. તપાસ કરતા તેની પાસેથી કાળા રંગની પ્લાસ્ટિકની થેલીમાં છુપાવેલો 80 ગ્રામ સૂકો ગાંજો મળી આવ્યો હતો. પાટણ એ ડિવિઝનના પી.એસ.આઇ આર.બી. ચાવલા અને તેમના સ્ટાફે આ સમગ્ર કાર્યવાહી કરી હતી. યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:28 pm

પાટણ માર્કેટયાર્ડ પાસે ₹32,809નો અનાજનો જથ્થો જપ્ત:પુરવઠા વિભાગે દરોડો પાડી બિલ વગર ખરીદી કરતા બે વેપારીને નોટિસ પાઠવી

પાટણ શહેરના માર્કેટયાર્ડ ગેટ પાસે જાહેર રોડ પર શંકાસ્પદ રીતે અનાજની ખરીદી થતી હોવાની માહિતી મળતાં જિલ્લા પુરવઠા વિભાગે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન, બિલ કે આધાર-પુરાવા વગર ખરીદવામાં આવેલો ₹32,809ની કિંમતનો અનાજનો જથ્થો જપ્ત કરી સીઝ કરવામાં આવ્યો છે. જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમે શહેરમાં નિયમિત પેટ્રોલિંગ અને આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન, પાટણ માર્કેટયાર્ડના ગેટ પાસે જાહેર રોડ પર બે વેપારીઓ અનાજની ખરીદી કરતા જોવા મળ્યા હતા. પુરવઠા વિભાગની ટીમે તપાસ કરતા વેપારીઓ પાસે માલને લગતા કોઈ બિલ કે આધાર-પુરાવા મળ્યા ન હતા. વેપારીઓ સંતોષકારક જવાબ કે દસ્તાવેજો રજૂ ન કરી શકતા તંત્રએ કડક કાર્યવાહી કરી હતી. સ્થળ પરથી 616.31 કિલો ચોખા, 424.91 કિલો ઘઉં અને 147.29 કિલો બાજરી સહિત કુલ 1188 કિલોથી વધુ અનાજનો જથ્થો મળી આવ્યો હતો. તંત્ર દ્વારા કુલ ₹32,809ની કિંમતનો આ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સીઝ કરાયેલો આ તમામ જથ્થો હાલ પાટણના સરકારી ગોડાઉન ખાતે રાખવામાં આવ્યો છે. નિયમોના ભંગ બદલ વેપારીને નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવશે . જિલ્લા પુરવઠા અધિકારી હેમાગીની ગુર્જરના જણાવ્યા અનુસાર, હાલમાં આ જથ્થો જપ્ત કરી ગોડાઉનમાં મુક્યો છે. વેપારીને નોટીસ આપ્યા બાદ શું જવાબ મળે છે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ વેપારી દ્વારા ખરીદવામાં આવતો અનાજનો જથ્થો ક્યાં મોકલવામાં આવતો હતો, તેની પણ તપાસ કરવામાં આવે તેવી માગણી ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:22 pm

વલસાડમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી:'યુનિટી માર્ચ' પદયાત્રાનું આયોજન કરાયું, મોટી સંખ્યામાં લોકો જોડાયા

વલસાડ વિધાનસભા વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે 'યુનિટી માર્ચ' પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો મુખ્ય હેતુ દેશના એકીકરણમાં સરદાર સાહેબના યોગદાનને યાદ કરવાનો અને લોકોને એકતાના સંદેશ સાથે જોડવાનો હતો. પદયાત્રાનો પ્રારંભ તિથલ સ્થિત સ્વામિનારાયણ મંદિરથી થયો હતો. આ સમગ્ર કાર્યક્રમ વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા. ઉપસ્થિત આગેવાનોમાં પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી સનમ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલનો સમાવેશ થાય છે. તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતેના પ્રારંભિક કાર્યક્રમમાં સાંસદ ધવલ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિતના અગ્રણીઓએ સરદાર વલ્લભભાઈ પટેલે દેશના ઘડતર અને એકીકરણમાં આપેલા મહત્ત્વના યોગદાનો વિશે લોકોને માહિતગાર કર્યા હતા. આ 'યુનિટી માર્ચ'માં વલસાડ જિલ્લાના લોકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. આ પદયાત્રાએ એકતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ વલસાડમાં ગુંજતો કર્યો હતો, જે સરદાર પટેલના આદર્શોને ઉજાગર કરે છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:12 pm

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં વેસ્ટ ઝોન વુમન વોલીબોલ સ્પર્ધા:4 રાજ્યોની 90 ટીમો ભાગ લેશે; 4 ગ્રાઉન્ડ પર રાત્રે 10 વાગ્યા સુધી મેચ

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) આગામી 10 ડિસેમ્બરથી AIU (એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ)ની વેસ્ટ ઝોન વુમન વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરશે. આ ચાર દિવસીય સ્પર્ધા 14 ડિસેમ્બર સુધી ચાલશે. આ સ્પર્ધામાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન એમ ચાર રાજ્યોમાંથી કુલ 90 ટીમો ભાગ લેશે. આશરે 1500 ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા પાટણ આવી રહ્યા છે. ખેલાડીઓના ઉત્સાહવર્ધન માટે ભારતીય વોલીબોલ ટીમના પૂર્વ કેપ્ટન કેના ધોળકિયા ખાસ ઉપસ્થિત રહેશે. યુનિવર્સિટીના કુલપતિ કે.સી. પોરીયા પણ આ પ્રસંગે હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, મેચોના સુચારુ આયોજન માટે યુનિવર્સિટી કેમ્પસમાં ચાર અલગ-અલગ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ટીમો હોવાથી રાત્રે 10 વાગ્યા સુધી મેચ રમાડવામાં આવશે. સ્પર્ધાના ટેકનિકલ પાસાઓ પર નજર રાખવા અને સંચાલન માટે ગુજરાતના પ્રથમ વોલીબોલ રેફરી ડો. નરેન્દ્ર ક્ષત્રિય ટેકનિકલ બોર્ડની કામગીરી સંભાળશે. બહારગામથી આવતી ખેલાડી બહેનો માટે રહેવા અને જમવાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે આયોજન સમિતિના સભ્યોની એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ખેલાડીઓને તમામ જરૂરી સુવિધાઓ મળી રહે તે માટેની વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:01 pm

ગોધરામાં MGVCL-પોલીસનું મેગા ચેકિંગ, 24.22 લાખની વીજચોરી ઝડપાઈ:પશ્ચિમ વિસ્તારમાં 35 કનેક્શનમાંથી વીજચોરી પકડાતાં કાર્યવાહી

ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આજે વહેલી સવારે મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL) અને પંચમહાલ પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ મેગા સર્ચ ઓપરેશનમાં કુલ 24.22 લાખ રૂપિયાની વીજચોરી ઝડપાઈ હતી, જેમાં 35 વીજ ગ્રાહકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ અભિયાનમાં MGVCLની વર્તુળ કચેરી અને આણંદ, નડિયાદ, દાહોદ, ગોધરા, વડોદરા સહિતની 45 ટીમોના 124 કર્મચારી તથા 54 પોલીસ સ્ટાફનો સમાવેશ થતો હતો. સિંગલ ફળિયા, સાતપુલ સ્ટેશન રોડ, ગોન્દ્રા વિસ્તાર, મહંમદ સોસાયટી અને હયાતની વાડી જેવા પશ્ચિમ વિસ્તારના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કુલ 1345 વીજ કનેક્શન તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 35 કનેક્શનમાં વીજચોરી મળી આવી હતી. MGVCL વિભાગ દ્વારા આ 35 વીજ ગ્રાહકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમને પૂરવણી બિલ આપીને નાણાં ભરવા માટે નોટિસ પાઠવવામાં આવશે. વીજચોરી કરનાર 29 ગ્રાહકો સામે કલમ 135 હેઠળ અને છ ગ્રાહકો સામે કલમ 126 હેઠળ ગુનો નોંધી દંડ સંહિતાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચેકિંગ દરમિયાન કેટલાક વીજ ગ્રાહકો દ્વારા રકઝકનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સ્થાનિક પોલીસે દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 3:42 pm

રાજકોટમાં 139 એનિમી પ્રોપર્ટીનો સર્વે અને વેલ્યુએશન કામગીરી ચાલુ:જેતપુર તાલુકામાં સૌથી વધુ, જાણો, કઈ પ્રોપર્ટીને એનિમી પ્રોપર્ટી ગણવામાં આવે?

ભારત અને પાકિસ્તાનના ભાગલા અથવા 1965ના યુદ્ધ પછી જે લોકો ભારત છોડીને પાકિસ્તાન અથવા અન્ય કોઈ દુશ્મન દેશના નાગરિક બન્યા છે તેમની ભારતમાં રહેલી મિલકતોને 'એનિમી પ્રોપર્ટી' જાહેર કરવામાં આવી છે. આ મિલકતોનો કબ્જો 'કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી' હેઠળ લેવામાં આવ્યો છે. તાજેતરમાં જ, રાજકોટ જિલ્લામાં આવેલી આવી કુલ 139 એનિમી પ્રોપર્ટીનો સર્વે કરવાની અને તેનું વેલ્યુએશન કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 139 પૈકી જેતપુર તાલુકામાં સૌથી વધુ એનિમી પ્રોપર્ટી હોવાની માહિતી હાલ તંત્રના ધ્યાને આવી છે. રાજકોટમાં 139 મિલકતો કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી હસ્તક છેરાજકોટ જિલ્લામાં એનિમી પ્રોપર્ટીની સ્થિતિ અંગે જણાવતા રાજકોટ જિલ્લા કલેકટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 139 મિલકતો કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી હસ્તક છે. સર્વેની વિગતો અને ટીમના સભ્યો 17 નવેમ્બર 2025થી 23 ડિસેમ્બર 2025 સુધી અસિસ્ટન્ટ કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી, મુંબઈના સર્વેયર, સાથે રાજકોટના જિલ્લા જમીન દફતર (ડીએલઆર) અને સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ કચેરીના સર્વેયર પણ જોડાશે. 73 મિલ્કતો આઈડેન્ટિફાય થઇ છે જેની તપાસ ચાલુ છે અત્યાર સુધી એનિમી પ્રોપર્ટીમાં 66 મિલકતો કાયદેસર રીતે એનિમી પ્રોપર્ટી તરીકે જાહેર થઈ ગઈ છે જ્યારે બાકી 73 મિલકતો આઇડેન્ટિફાય થઈ છે, પરંતુ દેશ છોડતા પહેલા વેચાણ થયું છે કે નહીં, મંજૂરી લીધી છે કે નહીં, તે અંગે નિર્ણય લેવાનો બાકી છે. હાલમાં તમામ 139 મિલકતોનો સર્વે કરવામાં આવશે અને તેનું વેલ્યુએશન (મૂલ્યાંકન) કરવામાં આવશે. વેલ્યુએશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા આ મિલકતોની જાહેર હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ડિક્લેર્ડ પ્રોપર્ટીમાં સૌથી વધુ જેતપુર તાલુકાની 44 મિલ્કતો છેડિક્લેર્ડ પ્રોપર્ટીમાં સૌથી વધુ જેતપુર 44, ઉપલેટા 12, પડધરી 4, ધોરાજી 3, ગોંડલ 2, કોટડા સાંગાણી 1 સહિતની પ્રોપર્ટીનો સર્વેની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે. જ્યારે બાકીની 73 મિલ્કતોમાં જેતપુર 59, ગોંડલ 7, જસદણ 4, રાજકોટ શહેર 2, કોટડા સાંગાણી 1 સહિતની મોટાભાગની મિલકતો ખેતીની જમીન, રહેણાંક અને વ્યવસાયિક પ્રકારની હોવાનું સામે આવ્યું છે. દેશમાં કુલ 12,615 દુશ્મની મિલકતહરાજી બાદ મિલકત ખરીદ્યા બાદ દુશ્મન સંપત્તિને કાયદેસર રીતે પોતાની પાસે રાખી શકશો. દુશ્મન સંપત્તિને અતિક્રમણ મુક્ત કરવાની પ્રક્રિયા સૌથી પહેલાં ઉત્તરપ્રદેશના નોઈડા અને ગ્રેટર નોઇડાથી હાથ ધરવામાં આવી હતી. દેશભરમાં કુલ 12,616 દુશ્મન મિલકતની ઓળખ કરવામાં આવી હતી, પરંતુ સૌથી વધુ 6255 દુશ્મન પ્રોપર્ટી ઉત્તરપ્રદેશમાં છે. તેમાંથી 3797 દુશ્મન સંપત્તિની ઓળખ કરી લેવામાં આવી હતી. યુપી બાદ સૌથી વધુ દુશ્મન સંપત્તિ પશ્ચિમ બંગાળમાં છે. દુશ્મન મિલકત શું છે?દેશના ભાગલા સમયે કે પછી 1962, 65 અને 1971ના યુદ્ધમાં એવા લોકો જે દેશ છોડીને પાકિસ્તાનમાં સ્થાયી થયા હતા. બીજા દેશમાં જવાને કારણે તેમની મિલકત, મકાન, દુકાન કે જમીન ભારતમાં રહી ગઈ તેને દુશ્મન સંપત્તિ કહેવામાં આવે છે. સરકાર દ્વારા દરેક રાજ્યમાં હજારો દુશ્મન સંપત્તિની ઓળખ કરવામાં આવી હતી. 1962ના સંરક્ષણ અધિનિયમ હેઠળ સરકારને દુશ્મનની મિલકતો જપ્ત કરવાનો અધિકાર છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 3:42 pm

મેથામ્ફેટામાઇન ડ્રગ્સ સાથે 3ની ધરપકડ:મહેસાણા રેલવે સ્ટેશન નજીક SMCએ રેડ કરી ઝડપી પાડ્યાં, મુખ્ય સપ્લાયર વોન્ડેટ જાહેર

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 19 અને 20 નવેમ્બરના રોજ મહેસાણાના માલગોદામ રોડ રેલવે સ્ટેશન નજીક ડ્રગ્સ વિરુદ્ધ સફળ રેઇડ પાડવામાં આવી હતી. આ રેઇડમાં 108.660 ગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની બજાર કિંમત આશરે રૂપિયા 10,86,600 જેટલી થાય છે. 3 આરોપીને ઝડપી મુદ્દામાલ જપ્ત કર્યોSMCએ NDPS એક્ટની કલમો 8(c), 22(c), અને 29 હેઠળ ગુનો નોંધી, મુખ્યત્વે રાજસ્થાનના રહેવાસી એવા ત્રણ આરોપીની ધરપકડ કરી છે, જેમાં અશોક ભાખરારામ બિશ્નોઈ (મુખ્ય આરોપી), જગદીશ હરીરામ બિશ્નોઈ (ભાગીદાર) અને સુરેશ વીરારામ બિશ્નોઈનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી રૂ 30,000ના 4 મોબાઈલ ફોન, 1,530 રોકડા અને એક ટ્રેન ટિકિટ પણ જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા કુલ મુદ્દામાલની કિંમત રૂ 11,18,130 આંકવામાં આવી છે. મુખ્ય સપ્લાયર વોન્ડેટ જાહેરઆ ઓપરેશનમાં મેથામ્ફેટામાઇન​​​​​​​નો મુખ્ય સપ્લાયર, સુરેશ મોહનલાલ બિશ્નોઈ (રહે. ગુંદાવ, સાંચોર, રાજસ્થાન), વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ રેઇડ SMCના પી.આઈ. જી. આર. રબારી અને પી.એસ.આઈ. વી. કે. રાઠોડની ટીમે પાર પાડી હતી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 3:28 pm