SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
... ...View News by News Source

પ્રોઢે કર્યો આપઘાત:બીમારીથી કંટાળી ફાંસો ખાઈ પ્રૌઢનો આપઘાત

શહેરના સંત કબીર રોડ પર આવેલી મયૂરનગર સોસાયટીમાં રહેતા 58 વર્ષીય પ્રૌઢે બીમારીથી કંટાળી પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ, રાજમોતી મિલની બાજુમાં મયૂરનગર સોસાયટીમાં રહેતા મનસુખભાઈ મોહનભાઈ સીતાપરા(ઉં.વ.58)એ સાંજે સાડા છ વાગ્યાની આસપાસ પોતાના ઘરે લોખંડના એન્ગલમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. મનસુખભાઈના પત્ની રામબેન અને પુત્ર કિશન બંને કામે ગયા બાદ પ્રૌઢે આ પગલું ભર્યું હતું. બનાવ અંગે જાણ થતા બી-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં, છેલ્લા કેટલાક સમયથી મનસુખભાઈને શ્વાસની તકલીફ હોવાને કારણે તેઓ ઘરે જ રહેતા હતા. બીમારીથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હતું. બનાવથી પરિવારમાં ઘેરો શોક છવાયો છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:58 am

મંડે મેગા સ્ટોરી:બે પીટલાઈનનું કામ પૂર્ણ, હવે વંદે ભારત મળી શકે

કચ્છમાં હાલ રેલ સુવિધા વિસ્તરણના કામો ધમધોકાર ચાલી રહ્યા છે ત્યારે ભુજના રેલવે સ્ટેશને 2 નવી પીટલાઈન બનાવવામાં આવી રહી છે જેનું કામ પૂર્ણતા ભણી છે જેથી આવનારા સમયમાં વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેન અને નવી પ્રવાસી ટ્રેનો મળવાની શક્યતાઓ તેજ બની છે. હાલમાં ભુજ રેલવે સ્ટેશને એક પીટલાઈન છે અને નાગોર રોડ સાઇડ બે નવી બનાવવામાં આવી રહી છે જેનું કામ પુર્ણતા ભણી છે જેમાંથી એક વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેન માટે બનાવાઈ છે. હાલમાં ભુજ રેલવે સ્ટેશને કચ્છ એક્સપ્રેસ, સયાજીનગરી, નમો ભારત જેવી ડેઇલી, એકાંતરે બરેલી એક્સપ્રેસ, દિલ્હી સરાઈરોહિલ્લા તેમજ અઠવાડિયામાં મુંબઈની 3 અને પુણે, શાલીમાર જેવી ટ્રેન વિકલી દોડે છે.ભુજથી 10 જેટલી ટ્રેનોનું સંચાલન થાય છે. પ્રવાસીઓની માંગ રહી છે કે, કચ્છને મુંબઇ, ઉત્તર ભારત, રાજસ્થાનને જોડતી નવી ટ્રેન આપવામાં આવે પણ એ ત્યારે શક્ય બને કે જ્યારે ટ્રેનના રખરખાવ માટે પીટલાઈન હોય. ટ્રેન મેઇન્ટેઇન્સ માટે રેલ સ્ટાફની ડ્યુટી 8 કલાકની હોય છે અને એક ટ્રેનનું સંપૂર્ણ એક્ઝામિનેશનમાં 6 કલાક વીતી જાય છે જેથી એક પીટલાઈન બનવાથી 3 ટ્રેનોની ક્ષમતા વધી જાય છે જિલ્લામાં રેલવે સ્ટેશન ઘણા છે પણ પીટલાઈન માત્ર ભુજ અને ગાંધીધામ સ્ટેશને જ છે હાલમાં ભુજનું રેલવે સ્ટેશન 200 કરોડના ખર્ચે ડેવલોપ થઈ રહ્યું છે તેનું કામ માર્ચ મહિનામાં પૂર્ણ થશે.જેથી આ પીટલાઈનની સાથે નવી ટ્રેનોની જાહેરાત થવાની શકયતા વધારે છે જેમાં વંદે ભારત ટ્રેનની શક્યતા છે. અલબત્ત રેલવે દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ નથી આ ઉપરાંત લાંબા સમયથી ગાંધીધામ સુધી આવતી ટ્રેનોને ભુજ સુધી લંબાવવા સૂર ઉઠી રહ્યો છે પણ ભુજમાં પીટલાઈન ન હોવાથી ટ્રેનો ભુજ આવી શકતી ન હતી જેથી હવે ગાંધીધામ આવતી ટ્રેનોને ભુજ લાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે જેમાં 5 જેટલી ટ્રેનને ભુજ સુધી લંબાવવામાં આવશે આ માટે આંતરીક સર્વે સહિતની કામગીરી હાથ ધરાઈ છે. પીટલાઇન એટલે ટ્રેનોની અંદર-બહારથી તપાસ માટેની લાઈનરેલવેમાં પીટલાઇન એટલે યાર્ડમાં બનેલી એવી વિશેષ લાઇન, જેના પર ઉભેલી ટ્રેનોની અંદર-બહારથી તપાસ, મરામત અને સફાઈ માટે નીચે ખાડો (Pit) બનાવેલો હોય છે.આ ખાડા પીટને કારણે મિકેનિક અને ટેક્નિશિયનને કોચની નીચે જઈને બ્રેક, સસ્પેન્શન, બોગી, પાઇપ, ટાંકી વગેરેની ચકાસણી સરળ બને છે. પીટલાઇનનો ઉપયોગ ટ્રેન છોડતા પહેલાં પ્રિ-ડિપાર્ચર ચેકિંગ,કોચની અંદરના અને નીચેના ભાગની સફાઈ, મેઈન્ટેનન્સ (બ્રેક સિસ્ટમ, બાયોડાયજેસ્ટર, હવાના પાઇપ, કુશન, વ્હીલ વગેરે), માઇનર રિપેરીંગ માટે થાય છે.જ્યાંથી ટ્રેન રેક તૈયાર થાય અથવા ટ્રેન લાંબા સમય માટે રોકાતી હોય તેવા કોચિંગ ડિપો, મેઈન્ટેનન્સ યાર્ડ, મેકેનિકલ ડિપોમાં પીટલાઈન બને છે. ગોપાલપુરી સ્ટેશન ડેવલોપ થતા ડાયરેક્ટ ટ્રેન આવશેગાંધીધામ વિસ્તારમાં લાંબા સમયથી બંધ ગોપાલપુરી સ્ટેશનને રેલવે દ્વારા ડેવલોપ કરવામાં આવી રહ્યું છે જેનું કામ બે થી ત્રણ મહિનામાં પૂર્ણ થશે.હાલમાં ગાંધીધામ સ્ટેશને પસાર થતી ટ્રેનોમાં એન્જીન બદલવામાં આવતું હોવાથી અડધોથી પોણો કલાક વીતી જાય છે ગોપાલપુરી સ્ટેશન ચાલુ થતા ટ્રેન ગોપાલપુરીથી ડાયરેક્ટ ભુજ આવી શકશે.જેથી ગાંધીધામ સ્ટેશન પર ભારણ ઘટશે અને પ્રવાસીઓનો સમય બચશે. ઉપરાંત ગાંધીધામની કેટલીક ટ્રેન ભુજ શિફ્ટ થતા ગાંધીધામમાં રેલ ટ્રાફીક ઘટવાથી નવી ટ્રેનો અને ગુડ્સ પરિવહનને વેગ મળવા સહિતની ગતિવિધિ આગળ વધશે તેમ જાણકારો જણાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:56 am

બોગસ ડેન્ટિસ્ટ ઝડપાયો:યુપીનો નકલી ડેન્ટિસ્ટ એક વર્ષથી મેટોડામાં દર્દીઓના દાંત કાઢતો હતો

રાજકોટના લોધિકા તાલુકામાં મેટોડા જીઆઇડીસી ગેટ નં.02માંથી કોઈ પણ જાતની પ્રમાણિત તબીબી ડિગ્રી વગરના તબીબને ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. મૂળ યુપીના આ શખ્સે મેટોડામાં એક વર્ષ સુધી રહી પોતાની ડેન્ટિસ્ટ તરીકેની ખોટી ઓળખ ઊભી કરી અનેક દર્દીઓના દાંત કાઢ્યા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમે જુદી જુદી એલોપેથિક દવાઓ અને મોબાઈલ સહિત કુલ રૂ.28 હજારના મુદ્દામાલ સાથે નકલી તબીબને ઝડપી લીધો હતો. પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શનમાં કોઈ પણ જાતની ડોક્ટરની ડિગ્રી વગર એલોપેથિક ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને પકડી પાડવા સૂચના મળેલી હતી. સૂચના મુજબ એસ.ઓ.જી. શાખાના પી.આઈ. એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટે. શિવરાજભાઈ ખાચર તથા મયૂરભાઈ વીરડા ટીમ દ્વારા મળેલી બાતમીના આધારે મેટોડા જીઆઇડીસી ગેટ નં.3 મુરલીધર વે-બ્રિજની બાજુમાં આવેલા માઈન્ડ સ્વિફ્ટ કોમ્પ્લેક્સમાં દુકાન નં.6માં ચાલતા બાલાજી દાંતનું દવાખાનું છેલ્લા એક વર્ષથી ચલાવતો શખ્સ કોઈ પણ જાતની ડિગ્રી વગર એલોપેથિક દવાઓ તથા ઇન્જેક્શન રાખી ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતો હોવાની જાણ થતા ટીમે સ્થળે પહોંચી શખ્સની પૂછપરછ કરતા તેનું નામ રાજમંગલ મૂરત સહાની(ઉં.વ.58, રહે.હાલ મેટોડા જીઆઈડીસી) હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેની પાસેથી કોઈ પણ જાતના કાગળો કે ડિગ્રી પ્રાપ્ત ન થતા આ બોગસ તબીબને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં શખ્સ છેલ્લા એક વર્ષથી ઉત્તરપ્રદેશથી રાજકોટ આવેલો હતો અને અહીં આ ક્લિનિક ચલાવતો હતો. તેણે બીએસસી સુધીનો અભ્યાસ કર્યો હતો. અત્યાર સુધીમાં ઘણા બધા દર્દીઓની જેમ તેમ સારવાર કરી ચૂક્યો છે. આ ઉપરાંત તેણે છ વર્ષ સુધી યુપીમાં પણ પ્રેક્ટિસ કરી હોવાનું પોલીસ સમક્ષ રટણ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:56 am

મંત્રીએ માઈક સાઈડમાં મુક્યું અને જબરા ઈશારા કર્યાં:દેવાયત ખવડનું ચૌહાણ પરિવાર સાથે સમાધાન કોણે કરાવ્યું?; ભાજપમાં CRની ટીમ સાફ અને JVની ટીમ મજબૂત થઈ!

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:55 am

ભાસ્કર લાઈવ:પાંજો કચ્છડો ખેલે ખલકમે : કચ્છીયતનું ગુંજતું લોકજીવન

માટી, મલક અને માનવતાની મહેક ધરાવતી ધરતી ભુજના સ્મૃતિવનમાં આયોજિત પાંચ દિવસીય કચ્છી સાહિત્ય ઉત્સવમાં અને કચ્છ ‘મુલક જ્યું ગાલયુ’ સાથે કચ્છી લોકવાર્તા અને સંગીતની રસલ્હાણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઢોલ, તબલા, જોડિયા પાવા અને બેંજૉ જેવા પરંપરાગત વાદ્યોના કચ્છી ભાષાના લોક પ્રિય ગાયક દેવરાજ ગઢવી(નાનો ડેરો) અને વંદના ગઢવી દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં જ લાગ્યું કે માટીના સ્વરો સાથે ઊઠેલો કચ્છી સૂર આ કચ્છની ધરા જાણે ખુદ બોલતી હોય તેવું વરતાતું હતું. વંદના ગઢવીએ ‘મારા મીઠડા મહેમાન ભલે આવ્યા’ ગીત ગાઈને કચ્છીયત સભર આત્મીય સ્વાગત કરી દેરાને જીવંત બનાવી દીધો.સાથે જ દેવરાજ ગઢવીએ સૌપ્રથમ કચ્છના દાદા મેકરણને યાદ કર્યા. બાદમાં કચ્છના હીંગેરિયાવાળા હરી સાહેબની સ્મૃતિમાં કચ્છી લોકગીતો, માટી ના સ્વરો, કચ્છી ભાષાનું મહત્વ દર્શાવતી કચ્છી અસ્મિતા એના સુરોથી ઝળહળી ઉઠી સામત ઘરાનાના બંને રત્નો દ્વારા કચ્છી વાવલની સાથે ‘હમીરસર તળાવ તોકે ભુજ મેં વતાયા’, ‘રામાપીરનો હેલો’ દ્વારા લોકસંગીતનો ખજાનો ખૂલો મૂક્યો હતો . વંદનાબહેને ના કંઠે ગવાયેલા રાસ ગરબાના તાલે ઉપસ્થિત ઓડિયન્સ જૂમી ઉઠ્યું હતું. કવિ આલની ‘કચ્છ મલક જા માડું મુકે વધુ લાગે તા વલા’ રચના દ્વારા કચ્છીભાષા અને સાહિત્ય અને સુરોની ઉત્કૃષ્ટ રજૂઆતએ લોકોના દિલ જીતી લીધા હતા. કચ્છ માત્ર ભૂમિ નથી પણ ધબકતું સંગીત અને જીવતું સાહિત્યએક સ્મૃતિવનની વનરાજીની ઠંડક અને વધારામાં શિયાળાના ઓતરાતા વાયરાની ઠંડક અને શિયાળો ભુલાયો હતો. અંતે બન્ને કલાકારોએ કચ્છી ‘અડાસાઈ’ અને ‘મૂંજી માતૃભૂમિ કેરો મૂંજો વલ્લો વતન’ થી કાર્યક્રમનું સમાપન કર્યું. સમગ્ર કાર્યક્રમનું આયોજન હિમાંશુ ભોગીલાલ અને નિધિ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમણે પ્રોફેસર કાશ્મીરાબેન મહેતાની ટીમ, ગુજરાત સાહિત્ય અકાદમી તથા તમામ સહયોગીઓનું આભાર વ્યક્ત કર્યો હતો. કચ્છ સાહિત્ય ઉત્સવ એ માત્ર કાર્યક્રમ નથી પણ એ કચ્છની સંસ્કૃતિનું જીવત દસ્તાવેજ બની ગયું છે. સંગીત ભરી આ વિતેલી પાંચ સાંજો જ કહી ગઈ છે કે કચ્છ માત્ર ભૂમિ નથી પણ એક ધબકતું સંગીત અને જીવતું સાહિત્ય છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:54 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:મનપાની ચૂંટણી નજીક આવતાં જ શહેરમાં રોડ-રસ્તાનું કામ યુદ્ધના ધોરણે શરૂ થઇ ગયું

રાજકોટમાં હાલમાં જ્યાં નજર પડે ત્યાં રોડ-રસ્તાનું કામ શરૂ થઇ ગયું છે. યુદ્ધના ધોરણે થઇ રહેલી આ કામગીરી જોતાં બહારથી આવનાર વ્યક્તિને લાગે કે આ શહેરમાં ક્યારેય કોઇ સમસ્યા જ નહીં હોય, તંત્રવાહકો ખૂબજ જાગૃત હશે પરંતુ તંત્રવાહકોની નીતિ કેવી છે તે તો રાજકોટવાસીઓ જ જાણે છે. ચોમાસા પહેલાથી શહેરના મહત્તમ માર્ગો પર ખાડા હતા, કેટલાક વિસ્તારમાં તો રસ્તા પર ખાડા નહીં, પરંતુ ખાડામાં ક્યાંક રસ્તો હોય તેવું દેખાતું હતું, લોકોએ ફરિયાદ કરી પરંતુ તેની ફરિયાદનું કંઇ ન આવ્યું, ચોમાસું શરૂ થયું, ખાડામાં પાણી ભરાયા અને જે માર્ગો થોડાઘણા પણ સારા હતા તે પણ બદતર થઇ ગયા. શહેરના માર્ગો બાબતે લોકોમાં રોષ જોવા મળ્યો ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ અને નેતાઓએ એવો બચાવ કર્યો કે, ચોમાસામાં ડામર કામ કેવી રીતે કરવું?, જોકે આમ છતાં કેટલાક વિસ્તારમાં તે કામ ચાલતા હતા, પરંતુ થીગડાં મારવા માટે જ જાણે કામ થતું હતું. ચોમાસું વીતી ગયાને મહિનાઓ વીતી ગયા છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસથી શહેરના મહત્તમ વિસ્તારોમાં ડામર કામનો ધમધમાટ થઇ રહ્યો છે, આ બદલાવ શેના માટે છે ?, શું ખરેખર રાજનેતાઓ અને અધિકારીઓને લોકોની સમસ્યા નજરે પડી?, શું ખરેખર તે લોકોને સુવિધા આપવા માટે મેદાને ઉતર્યા છે? આવા સવાલો લોકોને પૂછ્યા તો લોકોએ કહ્યું કે, નજીકના મહિનાઓમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે એટલે લોકોને તેની મુશ્કેલી ભુલાવવા માટે રોડ-રસ્તાનું કામ શરૂ કરી દેવાયું છે. રાજનેતાઓ ફરીથી મત માગવા વિસ્તારમાં પહોંચશે ત્યારે રસ્તાનો મુદ્દો લોકો ઉઠાવે નહીં તે માટે કામ શરૂ થયા છે, શહેરીજનો રૂ.1 લાખનું નવું બાઇક ખરીદે ત્યારે તેની પાસે શોરૂમમાંથી બાઇકનો કબજો મળે તે પહેલાં રૂ.3 હજાર રોડ-રસ્તા પેટે મહાનગરપાલિકાને ટેક્સરૂપે ચૂકવાઇ જાય છે, તો ટેક્સ ઉઘરાવતાં આ તંત્રએ રોડ-રસ્તા સારા આપવા તે તેની ફરજ છે, પરંતુ ચૂંટણી આવે ત્યારે જ જનતાના પ્રશ્નોનો નિવેડો આવે છે, તો લોકોએ પોતાના કામ માટે શું ચૂંટણીની જ રાહ જોવાની ?

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:54 am

સ્થાનિક જેલ પ્રસાશનની સર્કલ નંબર 2 માં તપાસ દરમિયાન ભાંડો:ભુજની પાલારા ખાસ જેલમાં કેદ ખાનાયનો બુટલેગર મોબાઈલમાં વાત કરતા પકડાયો

શહેરની ખાસ ગણાતી પાલારા જેલમાંથી અવાર નવાર બિનવારસુ મોબાઈલ અને સીમકાર્ડ સહીતની સામગ્રી મળી આવતી હોય છે તેવામાં હવે સ્થાનિક જેલ પ્રસાશને સર્કલ નંબર 2 માં તપાસ કરતા દારૂના ગુનામાં પાલારા જેલમાં કેદ ખાનાયનો બુટલેગર બેરેક નંબર 12 ની બહાર આવેલ બાથરૂમ નજીક એન્ડ્રોઈડ મોબાઈલ પર વાતચીત કરતા રંગેહાથ ઝડપાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ પાલારા જેલના જેલર ગ્રુપ-2 ના બી.કે.જાખલે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે આરોપી કેદી જીતુભા ઉર્ફે જીતીયો મંગળસિંહ સોઢા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ રવિવારે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં સ્થાનિક જેલ પ્રસાશન દ્વારા સર્કલ નંબર 2 માં તપાસ કરવામાં આવી હતી. એ દરમિયાન બેરેક નંબર 12 ની બહારના ભાગે આવેલા જનરલ બાથરૂમ નજીક આરોપી મોબાઈલ પર વાત કરતો ઝડપાયો હતો. આરોપી પાસેથી વિવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ સીમકાર્ડ સાથે ચાલુ હાલતમાં મળી આવ્યો હતો. આ મામલે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે,અગાઉ અનેક વખત પાલારા જેલમાંથી મોબાઈલ,સીમકાર્ડ અને રાઉટર સહીતની સામગ્રી બિનવારસુ હાલતમાં મળી આવી છે.ત્યારે હવે આરોપી કેદીને ફોન પર વાતચીત કરતા ઝડપી લેવામાં આવતા પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઈલ કેવી રીતે અને કોની મારફતે મંગાવવામાં આવ્યો હતો અને કેટલો સમયથી તેનો ઉપયોગ કરવામાં આવતો હતો તે સહીતની વિગતો તપાસ દરમિયાન સામે આવશે. થર્ટી ફસ્ટ પહેલા જેલમાંથી બુટલેગરની વાતચીત !થર્ટી ફસ્ટને હવે બે દિવસ આડા છે ત્યારે પાલારા જેલમાં કેદ બુટલેગર મોબાઈલમાં વાતચીત કરતો ઝડપાયો છે. ખાનાય ગામના આરોપી બુટલેગર જીતુભા સોઢા સામે કોડાય પોલીસ મથકે નોધાયેલા દારૂના ગુનામાં પાલારા જેલમાં કેદ છે. આરોપી કેદી ત્રગડીના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ વજુભા જાડેજા સાથે મળી દારૂનો વેપલો કરતો હતો. અત્યાર સુધીમાં બન્ને બુટલેગરનો કરોડોની કિંમતનો દારૂ ઝડપાઈ ચુક્યો છે. તેવામાં હવે થર્ટી ફર્સ્ટ પહેલા જેલમાંથી બુટલેગર મોબાઈલમાં વાતચીત કરતો ઝડપાયો છે. ત્યારે ખરેખર આરોપી કોની સાથે વાતચીત કરતો હતો તે તપાસ જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:52 am

મંદિર નિર્માણની જાહેરાત કરાઇ:સુરત અને વિદેશની ધરતી પર લંડનમાં પણ નિર્માણ પામશે ખોડલધામ મંદિર સંકુલ

ખોડધલામ ટ્રસ્ટ-કાગવડના ઉપક્રમે તાજેતરમાં ખોડલધામ ટ્રસ્ટની કોર કમિટીની બેઠક યોજાઇ હતી જેમાં ટ્રસ્ટ દ્વારા મોટી જાહેરા કરાઇ હતી. અલગ અલગ બે જગ્યાએ ખોડલધામ મંદિર સંકુલ નિર્માણની મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની જેમ જ ગુજરાતની ધરતી પર સુરતમાં અને વિદેશની ધરતી પર લંડનમાં ખોડલધામ મંદિર સંકુલના નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી. કોર કમિટીની બેઠક બાદ ચેરમેન નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોર કમિટીની બેઠક યોજાઇ હતી જેમાં હાલ ચાલી રહેલા પ્રોજેક્ટની સમીક્ષા કરાઇ હતી. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ ખોડલધામ મંદિર સાથેનો પ્રોજેક્ટ મુકાયો છે. જ્યારે કોર કમિટીની બેઠક પહેલા લંડનમાં વસતા ખોડલધામના સ્વયંસેવકોએ ખોડલધામ મંદિરની મુલાકાત લઇ અને લંડનમાં પણ ખોડલધામ મંદિર બનાવવાનો નિર્ણય લીધો છે. લંડનમાં પણ ટૂંક સમયમાં ખોડધલામ મંદિર નિર્માણનું કામ ચાલુ થશે. આગામી દિવસોમાં સુરત અને લંડનમાં નિર્માણ પામનાર ખોડલધામ મંદિર સંકુલ પ્રોજેક્ટની વિગતો જાહેર કરાશે. આ ઉપરાંત હાલ રાજકોટ નજીક અમરેલી ગામ પાસે અદ્યતન વૈશ્વિક કક્ષાની કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ ઉત્તર ગુજરાતમાં પાટણના સંડેર ગામ પાસે ખોડલધામ સંકુલનું નિર્માણ કાર્ય પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં આ બન્ને પ્રોજેક્ટ પૂર્ણ કરી સમાજને અર્પણ કરાશે. આ ઉપરાંત આવતા દિવસોમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના પ્રકલ્પો પ્રમાણે મધ્ય ગુજરાત એટલે કે, અમદાવાદમાં ખોડલધામ સંકુલ બાનાવવાનું આયોજન છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે પણ ભવનનું નિર્માણ કરાશે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:52 am

મન કી બાતમાં ફરી કચ્છને યાદ કરાયું:પીએમ મોદીએ કહ્યું, ચાલુ વર્ષે 2 લાખ લોકોએ રણોત્સવને માણ્યો !

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રવિવારે મન કી બાતના સંબોધન દરમિયાન ફરી એક વખત કચ્છને યાદ કરી રણ ઉત્સવમાં પ્રવાસીઓને પધારવા જણાવ્યું હતું. વડાપ્રધાને જણાવ્યું કે, આપણા દેશની સુંદર વાત એ છે કે વર્ષભર દરેક સમયે દેશના કોઈ ને કોઈ ભાગમાં ઉત્સવનું વાતાવરણ રહે છે. અલગ-અલગ પર્વ-તહેવાર તો છે જ, સાથે જ વિભિન્ન રાજ્યોના સ્થાનિક ઉત્સવ પણ આયોજિત થતા રહે છે. એટલે કે, જો તમે ભ્રમણ કરવાનું વિચારો તો દરેક સમયે, દેશનો કોઈ ને કોઈ ખૂણો તમને યુનિક ઉત્સવ સાથે તૈયાર મળશે. આવો જ એક ઉત્સવ આ દિવસોમાં કચ્છના રણમાં ચાલી રહ્યો છે. આ વર્ષે કચ્છના રણોત્સવનું આ આયોજન 23 નવેમ્બરથી શરૂ થયું છે જે 20 ફેબ્રુઆરી સુધી ચાલશે. અહીં કચ્છની લોક સંસ્કૃતિ, લોક સંગીત, નૃત્ય અને હસ્તશિલ્પની વિવિધતા દેખાય છે. કચ્છના સફેદ રણની ભવ્યતા જોવી પોતે જ એક સુખદ અનુભવ છે. રાતના સમયે જ્યારે સફેદ રણ પર ચાંદની ફેલાય છે તો તે દૃશ્ય પોતે જ મંત્રમુગ્ધ કરી દેનારું હોય છે. રણ ઉત્સવની ટેન્ટ સિટી ખૂબ જ લોકપ્રિય છે. મને જાણકારી મળી છે કે ગત એક મહિનામાં અત્યાર સુધી બે લાખથી વધુ લોકો રણોત્સવનો હિસ્સો બની ચૂક્યા છે અને દેશના ખૂણેખૂણેથી આવ્યા છે, વિદેશથી પણ લોકો આવ્યા છે. તમને જ્યારે પણ અવસર મળે તો આવા ઉત્સવોમાં અવશ્ય સહભાગી બનો અને ભારતની વિવિધતાનો આનંદ ઉઠાવો.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:51 am

રેસકોર્સમાં ભવ્ય હનુમાન ચાલીસા યુવા કથા:આપણે નર થઇને વાનરની પૂજા કરીએ છીએ કેમ કે, તેનું ચરિત્ર ખૂબ પવિત્ર છે: હરિપ્રકાશદાસજી સ્વામી

શહેરના રેસકોર્સ મેદાન ખાતે 2 જાન્યુઆરી સુધી યોજાયેલી હનુમાન ચાલીસા યુવા કથાના બીજા દિવસે પણ અનેક ભક્તો ઊમટી પડ્યા હતા. જેમાં “હનુમાન ચાલીસા’ તથા “જબ મન ઘબરાયે તો સાળંગપુર આજાના’ થી શરૂઆત કરી હતી. કથાના બીજા દિવસે વક્તા હરિપ્રકાશદાસજી સ્વામીએ ભક્તોને કહ્યું હતું કે, જીવનમાં ગમે તેટલી ચાલાકી કરી લ્યો પણ યાદ રાખજો કે પરિણામ ઇશ્વર તમારા ઇરાદા પ્રમાણે જ આપશે. મને ઘણી વખત એમ થાય કે, હનુમાનજી તો વાનર છે, પણ આપણે નર થઇને વાનરની પૂજા કરીએ છીએ કેમ કે, જેનું ચરિત્ર ગાવા બેઠા છીએ તેનું ચરિત્ર ખૂબ પવિત્ર છે. ઘણા બેસતા વર્ષે એમ કહે કે, મંદિરે જાય તો આખું નવું વર્ષ સારું જશે પણ દરરોજ સવારે માતા-પિતાને પગે લાગવાથી આખું જીવન સારું જશે. માણસ કહે છે કે, પૂનમ અજવાળી હોય અને અમાસ અંધારી હોય, પણ એટલું યાદ રાખજો કે, પૂનમના દિવસે હોળી આવે છે અને અમાસના દિવસે જ દિવાળી આવે છે. જીવન કિસ્મતથી ચાલે છે મગજથી નથી ચાલતું. આ તકે રાજકોટનું એક ફિલ્મ પ્રોડક્શન શ્રી સાળંગપુર હનુમાનદાદા પર એક ભવ્ય ફિલ્મ બનાવવા જઈ રહ્યું છે. અત્યારે આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શન ચાલી રહ્યું છે. આ પ્રસંગે સ્વામી હરિપ્રકાશ સ્વામીજીના હસ્તે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવી રહ્યું છે, જ્યારે 2 એપ્રિલ, હનુમાન જયંતીના પવિત્ર દિવસે આ ફિલ્મનું હનુમાનદાદાનું ગીત રિલીઝ કરવામાં આવશે સાથે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવશે. કથાના પ્રથમ દિવસે 200 બોટલ રક્ત એકત્ર થયુંહનુમાન ચાલીસા યુવા કથાના પ્રથમ દિવસે 32,000થી વધુ ભક્તોએ કથા સાંભળી હતી. આ ઉપરાંત 32 હજાર જેટલા લોકોને પ્રસાદના પેકેટનું વિતરણ કરાયું હતું. આ તકે 7 દિવસ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે ત્યારે પ્રથમ દિવસે 200 બોટલ રક્ત એકત્ર થયું હતું. આ ઉપરાંત બીજા દિવસે 40 હજારથી વધુ ભક્તોએ કથાનો લહાવો લીધો હતો.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:50 am

વેધર રિપોર્ટ:રાજકોટમાં લઘુતમ તાપમાનમાં વધારો છતાં ટાઢોડાની અનુભૂતિ

નાતાલના આરંભ સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો છતાં ટાઢોડા જેવી અનુભૂતિ થઇ રહી છે. જોકે રવિવારે લઘુતમ તાપમાનમાં આંશિક વધારો થવાની સાથે મહત્તમ તાપમાન નીચે ઉતરતા સાંજ ઢળતાં જ લોકોને ઠંડીની અનુભૂતિ સાથે ગરમવસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ચાર દિવસ સુધી લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય ત્યારબાદ નવા વર્ષના પ્રારંભે એટલે કે, તા.1 જાન્યુઆરીથી લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. શુક્રવારે લઘુતમ તાપમાન 13.8 ડિગ્રી પહોંચ્યા બાદ ઢળતી સાંજથી જ રાજકોટમાં ટાઢોડાની અનુભૂતિ થઇ રહી છે. રવિવારે રાજકોટમાં લઘુતમ તાપમાન આંશિક વધારા સાથે 14.6 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31.9 ડિગ્રી નોંધાયું હતું.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:49 am

ભાસ્કર ફોલોઅપ:દારૂના વેર હાઉસ મામલે પોલીસે ખાનાપૂર્તિ કરી, રાતોરાત મોટો જથ્થો વગે કરાયો,વેર હાઉસ ખાલી

થર્ટી ફર્સ્ટ પહેલાં ગોરવા-કરોડિયા કેનાલ રોડ રમેશ નગરમાં ધમધમતા દારૂના વેરહાઉસનો પર્દાફાશ કરાયો હતો. જોકે તે વેરહાઉસને લઈ પોલીસે ખાનાપૂર્તિ કરી હતી. ભાસ્કરે સ્ટિંગ ઓપરેશન કરતા બે મોટા ફ્રિઝર ભરી રખાયેલો મોટો બિયરનો જથ્થો જોવા મળ્યો હતો. પોલીસ પહોંચે તે પહેલાં મોટો દારૂનો જથ્થો રાતોરાત વગે થઈ ગયો હતો?. જવાહરનગર પોલીસે વેરહાઉસ નજીકથી બૂટલેગર ખાલીદ શેખને ફક્ત 7 દારૂના ક્વાટર સાથે પકડી પાડ્યો હતો. કરોડિયા રમેશ નગરમાં રહેતા બૂટલેગર ખાલીદ કાસમ શેખ સિવાય અડ્ડા પર માગો તે બ્રાન્ડનો દારૂ પિરસનાર 4થી વધુ પન્ટરમાંથી એકય પોલીસના હાથે લાગ્યા નહોતા. ભ્રષ્ટ પોલીસ તંત્રના પાપે ખુલ્લેઆમ 2 મહિના ઉપરાંતથી ચાલતા દારૂના ઠેકા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને ઉલ્લું બનાવવાનો ખેલ પાડવામાં આવી રહ્યો હતો તેમ સૂત્રોએ કહ્યું હતું. જોકે આ મામલે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ અડ્ડો બંધ કરી દેવાયો હતો. બીજી બાજુ તરસાલી, મકરપુરા જીઆઈડીસી, વડસર, માણેજા, સિકંદરપૂરા સહિતના વિસ્તારમાં દારૂના અડ્ડા ધમધમતા હોવાનું જાણવા મળ્યું હતું. જો પોલીસ તપાસ કરે તો દારૂનું નેટવર્ક તોડી શકાય છે. થોડા સમય પહેલાં જ ખાલીદનું ગોડાઉન પકડાયું હતુંસુત્રોએ કહ્યું હતું કે, થોડા સમય પહેલાં જ રમેશનગરમાંથી ખાલીદનું દારૂનું ગોડાઉન પકડાયું હતું. તે સમયે પોલીસે કેસ નોંધ્યો હતો. જોકે ફરી ખાલીદ દ્વારા દારૂનો ધંધો શરૂ કરાયો હતો. તે હવે ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ચલાવતો થઈ ગયો હતો. રમેશનગરના રેલવે યાર્ડમાંથી દારૂ સપ્લાય થતો હતોરમેશનગર પાસે રેલવે યાર્ડ આવેલું છે. રિયાઝ નામનો બૂટલેગર રેલવે લાઇનમાંથી દારૂ સપ્લાય કરતો હોવાનું જાણવા મળ્યું હતું. ખાલીદના અડ્ડાએ રિયાઝ રેલવે યાર્ડ મારફતે દારૂનો સપ્યાલ કરતો હોવાનું સૂત્રોએ કહ્યું હતું. ઈમરાન નામનો બૂટલેગર પણ સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:49 am

નવાગામમાં પેટ્રોલપંપ બંધ કરી ઓઈલનો વેપાર:પેટ્રોલપંપ માટે ફાળવેલી જગ્યા પર ગોડાઉન બનાવ્યા, જમીન ખાલસા

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર જિલ્લા કલેક્ટર દ્વારા 32 વર્ષ પહેલાં પેટ્રોલપંપના હેતુ માટે ફાળવવામાં આવેલ નવી શરતની સરકારી જમીન પણ કેટલાક વર્ષ સુધી પેટ્રોલપંપ ચાલુ રાખ્યા બાદ પેટ્રોલપંપ બંધ કરી દઈ અહીં ઓઇલ-ગ્રીસ લુબ્રિકન્ટના 6 ગોડાઉન બનાવી નાખવામાં આવતા 1996માં શરતભંગ સાબિત માનવામાં આવ્યા બાદ કલેક્ટર સમક્ષ અપીલ કરવામાં આવતા અપીલ અરજી અંશતઃ ગ્રાહ્ય રાખતા શરતભંગની નોટિસ પરત ખેંચાવમાં આવી હતી. જોકે કરોડોની કિંમતી ગણાતી આ જમીન જૂની શરતમાં ફેરવવા અરજી થતા સિટી પ્રાંત-2ની તપાસમાં પેઢીમાં ફેરફાર અને પેટ્રોલપંપ ચાલુ ન હોવાનું સામે આવતા અંદાજે રૂપિયા 15 કરોડથી વધુની કિંમતી જમીન ખાલસા કરી સરકાર હસ્તક કબજો લેવા હુકમ કરવામાં આવ્યો છે. આ કેસની વિગતો જોઈએ તો વર્ષ 1992માં રાજકોટ-અમદાવાદ હાઇવે પર આણંદપર નવાગામ ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા ચંદારાણા ઓટો સેન્ટરને રેવન્યુ સરવે નંબર 207 પૈકીની 3715 ચોરસમીટર એટલે કે, 4443 ચોરસવાર જમીન નવી અને અવિભાજ્ય શરતોને આધીન પેટ્રોલપંપ બનાવવાના હેતુ માટે ફાળવવામાં આવી હતી. જોકે ચંદારાણા ઓટો સેન્ટરે અહીં થોડી જમીનમાં પેટ્રોલપંપ બનાવી બાકીની જમીનમાં છ ગોડાઉન બનાવી ઓઇલ કંપનીને ભાડે આપી દીધા હોવાનું રાજકોટ તાલુકા મામલતદારના ધ્યાને આવતા શરતભંગની કાર્યવાહી માટે દરખાસ્ત કરતા મદદનીશ કલેક્ટર દ્વારા 1996માં જમીનમાં શરતભંગ સાબિત માની સરકાર હસ્તક લેવા હુકમ કર્યો હતો. જેની સામે જિલ્લા કલેક્ટર સમક્ષ અપીલ કરવામાં આવતા કલેક્ટરે અપીલ, અરજી અંશતઃ ગ્રાહ્ય રાખી કેસ રિમાન્ડ કરતા મદદનીશ કલેક્ટર દ્વારા ભવિષ્યમાં શરતભંગ નહીં કરવાની શરતે વર્ષ 2000માં નોટિસ પરત ખેંચી હતી. દરમિયાન વર્ષ 2018માં ચંદારાણા ઓટો સેન્ટર પેઢીના યોગેશ વ્રજલાલ ચંદારાણાએ આ જમીન જૂની શરતમાં ફેરવવા અરજી કરતા જિલ્લા કલેક્ટરે સરકારમાં પ્રકરણ મોકલ્યું હતું. જેમાં પેટ્રોલપંપ બંધ કરી દેવામાં આવ્યો હોવાનું અને પુરવઠા વિભાગે લાઇસન્સ પણ રદ કરી નાખ્યું હોવાથી હાલમાં અરજદારો માત્ર ઓઇલ લુબ્રિકન્ટનું વેચાણ કરતા હોવાનું જણાવી પ્રકરણ પરત કરી શરતભંગના પગલાં લેવા આદેશ કરતા વર્ષ 2023ના આ કેસમાં આસિસ્ટન્ટ કલેક્ટર મહેક જૈને કેસ ચલાવી શરતભંગ થયો હોવાનું સાબિત માની અંદાજે 15 કરોડથી વધુ કિંમતની જમીન સરકાર હસ્તક લેવા હુકમ કર્યો છે. ભાગીદારી પેઢીનું નામ અને ભાગીદાર પણ બદલાયાનવાગામ આણંદપર ખાતે સરકારે ચંદારાણા ઓટો સેન્ટરને પેટ્રોલપંપના હેતુ માટે ફાળવેલી જમીન પર પેટ્રોલપંપ બંધ કરી ઓઇલનો ધંધો શરૂ કરવાની સાથે લાભાર્થીઓએ ભાગીદારી પેઢીમાં પણ ફેરફાર કરી પેઢીનું નામ ચંદારાણા ઓટો સેન્ટરને બદલે રઘુવીર ઓટો સેન્ટર કરી નાખ્યું હોવાનું પણ સામે આવતા જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર ભાગીદારી પેઢીના નામમાં ફેરફાર અને ભાગીદારોમાં ફેરફાર કરી મૂળ જે ઉદ્દેશ્યથી જમીન ફાળવવામાં આવી હતી તે ઉદ્દેશ્ય પૂર્ણ થતો ન હોય જમીન ખાલસા કરવા હુકમ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:47 am

રુશ્વત:લાંચ કેસમાંં વીડિયોના એફએસએલ રિપોર્ટ બાદ એસીબી વારસિયા પીઆઇના વોઇસ સેમ્પલ લેશે

વારસિયા પીઆઇના નામે લાંચ લેવાના મામલે ફરિયાદીએ ઝડપાયેલા આરોપીના ઉતરાયેલા 19 મિનિટના વીડિયોમાં અનેક ચોંકાવનારા ખુલાસા થાય એવી શક્યતા છે.ફરિયાદીએ રજૂ કરેલા રેકોર્ડિંગને એફએસએલમાં મોકલાયા છે. એની તપાસમાં છેડછાડ નહીં હોય તો પીઆઇને બોલાવી વોઇસ સ્પેક્ટ્રો ગ્રાફી બાદ કાર્યવાહી કરાશે. વારસિયામાં 5 કરોડની જમીનના પર બાંધકામ મામલે પીઆઇના નામે વેપારીએ 5 લાખની લાંચ માગી હતી. અઢી લાખની લાંચ લેતાં સુરેશ તોલાણી ઝડપાયો હતો. વારસિયા પીઆઈએ આરોપીને ઓળખતો નહીં હોવાનો કરેલો દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. ભાસ્કરને પુરાવારૂપે લાંચ લેતા પહેલાંનો વીડિયો હાથ લાગ્યો છે. જેની તપાસ થાય તો પીઆઇ વસાવાની સંડોવણી ખૂલી શકે એમ છે. 19 મિનિટના આ વીડિયોમાં આરોપી એક વાર પીઆઇને ફોન કરે છે.જ્યારે એક વાર સામેથી પીઆઇએ આરોપીને ફોન કર્યો હતો. લાંચ લેતાં અગાઉ આરોપી સ્પીકર ફોનથી કોલ કરતાં પીઆઇ બોલો સુરેશભાઈ, એમ જણાવે છે. પીઆઈ પોલીસ મથકમાં નથી, પણ પીએસઆઇ ચૌધરી બેંકમાં જઈ આવ્યા છે, કહી હાલ વડસર ધાર્મિક કાર્યક્રમમાં આવ્યો હોવાનું પીઆઇ જણાવે છે. જો ફોન ફોરેન્સિક લેબમાં મોકલાય અને અવાજની વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી થાય તો એસીબી પીઆઇ વસાવાની સીધી સંડોવણી બહાર લાવી શકે છે. શાકભાજી લેવા નીકળ્યા હોય એવા ભાવતાલ ન થાય: આરોપીવીડિયોમાં લાંચ કેસના આરોપી સમક્ષ ફરિયાદી રૂપિયા લઈને પહોંચે છે અને કિડનીની બીમારી હોવાથી હમણાં 1.5 લાખ રાખો બાકીના ફરિયાદ બાદ આપીશ એમ જણાવ્યું હતું. ત્યારે ઝડપાયેલા આરોપીએ જણાવ્યું હતું કે શાકભાજી લેવા નીકળ્યા હોય એવા ભાવતાલ ના થાય. વસાવા સાહેબ મને ગાળ બોલશે. ફરિયાદ પહેલા 2.50 લાખ અને ફરિયાદ બાદ 2.50 લાખ આપવા પડશે. ફરિયાદ 100 ટકા થશે એમ આરોપી સુરેશ ફરિયાદીને જણાવી રહ્યો હોવાનું વીડિયોમાં દેખાય છે. વીડિયોમાં વાત, 500ની નોટના ત્રણેય બંડલમાં 1-1 નોટ ઓછી હતી19 મિનિટના વીડિયોમાં 500ની નોટોના ત્રણ બંડલ એટલે કે 1.5 લાખ રૂપિયાની નોટોની ગણતરી પણ ચાલતી હોવાનું જોઈ શકાય છે.જેમાં દરેક બંડલમાં 100ના બદલે 99 નોટ હોવાનું આરોપીનો સાગરીત જણાવી રહ્યો છે.ત્યારે ફરિયાદીએ ત્રણ વાર ગણ્યા હોવાનું જણાવ્યું હતું તેમ છતાં આરોપી સુરેશ તોલાણી ચોથી વાર ગણી લેવા માટે જણાવ્યું હતું. ફરિયાદીએ વાતચીતની ટ્રાન્સક્રીપ્ટ આપી, ફોરેન્સિકમાં મોકલાશેલાંચના મામલાની તપાસ કરી રહેલી ટીમને ફરિયાદીએ 19 મિનિટના વીડિયોની પેન ડ્રાઈવ અને વાતચીતની ટ્રાન્સક્રીપ્ટ આપી છે. આ પેન ડ્રાઈવ એફએસએલમાં મોકલી છે.જેમાં છેડછાડ નથી એવો રિપોર્ટ આવ્યા બાદ પીઆઇ વસાવાનો વોઇસ સેમ્પલ લઈશું. બાદમાં સંડોવણી બહાર આવશે તો કાર્યવાહી કરીશું. > ધર્મેન્દ્ર ચૌધરી, પીઆઇ, એસીબી

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:47 am

ભાસ્કર ઈનસાઈડ:પાલિકાના વ્હીકલ પુુલની સામે વરસાદી કાંસ પર 15 દિવસથી ગાબડું, અકસ્માતનું જોખમ

શહેરમાં માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે શુક્રવારે પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા ટાંકીની સફાઈ દરમિયાન પાણીના નિકાલ માટે 15 ફૂટથી વધુ ઊંડી ચેમ્બરનું ઢાંકણું ખુલ્લું રખાયું હતું, જેમાં પડી જવાથી યુવકે જીવ ગુમાવ્યો છે. ભૂતડી ઝાંપા સ્થિત પાલિકાના વ્હીકલ પુુલની સામે અવર-જવરના રસ્તા પર વરસાદી કાંસ પર 15 દિવસથી ગાબડું પડ્યું છે, પરંતુ તેને પૂરવાની તસ્દી લેવાઈ નથી. અંધારામાં કોઇ પણ વ્યક્તિ ખાબકે તેવી સ્થિતિ છે. માંજલપુરમાં બનેલી દુ:ખદ ઘટનામાં યુવાનનું મોત થયું હતું. પાલિકાએ ઘટના બાદ ગટરની ચેમ્બર બંધ કરી તેના પર બોર્ડ મૂકી દીધું હતું. આ ચેમ્બર આસપાસ તાત્કાલિક બેરિકેડિંગ પણ કરાયું છે. જ્યારે ભૂતડી ઝાંપા સ્થિત પાલિકાના વ્હીકલ પુલની સામે વરસાદી કાંસ પર 15 દિવસ પહેલાં ઝાડી-ઝાંખરાને હટાવવાની કામગીરી કરાઈ હતી. તે સમયે જેસીબીનું ટાયર વરસાદી કાંસમાં ધસી જતાં ગાબડું પડ્યું હતું. કામગીરી સમયે ભયજનકનાં બોર્ડ અને લાઇટનો અભાવપાલિકાની કામગીરી સમગ્ર શહેરમાં ચાલી રહી છે, જેના પગલે ઠેર ઠેર પાણીની લાઇન નાખવાથી લઇને ગટરની કામગીરી કરાઇ રહી છે. તંત્ર દ્વારા અમુક જગ્યાએ જ ભયજનકનાં બોર્ડ મૂક્યાં છે. બેરિકેડિંગનો પણ અભાવ છે. રાત્રીના સમયે વિકટ સ્થિતિ સર્જાય છે. રાતે જે જગ્યાએ કામગીરી ચાલી રહી છે ત્યાં લાઇટનો અભાવ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:45 am

ભાસ્કર એક્સક્લુસિવ:પાટીદાર સમાજનું સરદારધામ: 1500 વિદ્યાર્થી માટે સ્પર્ધાત્મક પરીક્ષાના સ્ટડી સેન્ટર, હોસ્ટેલની સુવિધા

શહેરના વાઘોડિયા રોડ એલએન્ડટી નોલેજ સિટી પાસે પાટીદાર સમાજનું શૈક્ષણિક સંકુલ સરદારધામ તૈયાર કરાયું છે. સરકારી પરીક્ષા તેમજ જીપીએસસી-યુપીએસસીની પરીક્ષા માટે સ્ટડી સેન્ટર અને હોસ્ટેલની સુવિધા પાટીદાર સમાજના લોકોને મળી રહે તે માટે સુવિધા ઉભી કરાઇ છે. અમદાવાદમાં હાલ આ સુવિધા કાર્યરત છે. ત્યારે વડોદરામાં 5 લાખ સ્ક્વેર ફીટમાં રૂપિયા 150 કરોડના ખર્ચે 1500 વિદ્યાર્થીઓ માટે આ સુવિધા તૈયાર કરાવી છે જેનું આગામી ફેબ્રુઆરી મહિનામાં લોકાર્પણ કરાશે. પાટીદાર સમાજ દ્વારા જણાવ્યા મુજબ દીકરીઓને માત્ર એક રૂપિયાના વાર્ષિક ટોકનથી રહેવા જમવા અને શિક્ષણની સુવિધા અપાશે. જ્યારે જે છોકરાઓના માતા-પિતા નથી તેમજ જમીન નથી તેવા લોકોને ફ્રી સુવિધા અપાશે. આગામી ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ સેન્ટરનું લોકાર્પણ કરવા માટે આયોજન હાથ ધરાયું છે. ગુજરાતનાં તમામ શહેરોમાં શૈક્ષણિક સંસ્થાન બનશેપાટીદાર સમાજ દ્વારા જણાવ્યા મુજબ અમદાવાદમાં શૈક્ષણિક સંસ્થાન કાર્યરત છે. જ્યારે સુરત અને રાજકોટમાં બની રહ્યું છે. મહેસાણામાં આગામી સમયમાં બનાવવાનું આયોજન છે. જ્યારે વડોદરાનું લોકાર્પણ કરવા માટે તૈયાર છે. ગુજરાતના તમામ મોટા શહેરોને આવરી લેવા માટે આયોજન થઈ રહ્યું છે. 5500 કરતાં વધુ સરકારી અધિકારી તૈયાર કર્યાંવર્ષ 2016થી 2025 સુધી અમદાવાદમાં ક્લાસ વન, ટુ અને થ્રી કક્ષાના સરકારી અધિકારીઓ તરીકે 5500 પાટીદાર સમાજના લોકોને તૈયાર કરી નોકરી અપાવવામાં સહાય કરી છે.> મયુરભાઈ સુતરીયા, સહ કન્વીનર યુવા સંગઠન, સરદાર ધામ વિશેષતાઓ

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:44 am

ભાસ્કર ઈનસાઈડ:વડસર તળાવનું નવિનીકરણ કરાશે,4.68 કરોડના અંદાજ સામે 5.63 કરોડ ચૂકવાશે

શહેરનાં વિવિધ તળાવોનું પાલિકા દ્વારા બ્યૂટિફિકેશન કરાતું હોય છે. જે અંતર્ગત હવે વડસર તળાવનું બ્યૂટિફિકેશન કરાશે. 5.63 કરોડના ખર્ચે વડસર તળાવ પર ગઝેબો, ફુવારા, વોક વે સહિતની સુવિધા ઊભી કરાશે. આ કામગીરી 4.68 કરોડના ખર્ચે કરવાની હતી, પરંતુ હવે 20 ટકા વધારે રકમ ચૂકવાશે. પાલિકાના ફ્યૂચરિસ્ટિક પ્લાનિંગ સેલ દ્વારા વડસર તળાવના નવિનીકરણનું આયોજન કરાયું છે. જે માટે 5.68 કરોડના ખર્ચનો અંદાજ મૂકાયો હતો, જેને 10 ઓક્ટોબરે મંજૂરી અપાઈ હતી. આ કામે નેટ રકમ 4.68 કરોડ માટે 15 ઓક્ટોબરે ઇજારદાર પાસે ભાવપત્રકો મગાવાયા હતા, જેમાં 3 ઇજારદારો દ્વારા બીડ ભરી હતી. જે પૈકી એકમે કન્સ્ટ્રક્શનને 20 ટકા વધુ 5.63 કરોડમાં કામની મંજૂરી અપાઈ હતી. તળાવોના નવિનીકરણ પાછળ કરોડો ખર્ચ્યા બાદ પણ સ્થિતિ સુધરતી નથીપાલિકા દ્વારા અત્યાર સુધીમાં છાણી, બાપોદ, ગોત્રી, હરણી સહિતનાં જેટલાં તળાવોના બ્યૂટિફિકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરાયો છે. જોકે યોગ્ય જાળવણી કરવામાં આવી નથી. જેને પગલે આ તળાવોના વોક વે, રેલિંગ સહિતની વસ્તુઓ ખરાબ થઇ ગઇ છે. ઘણી જગ્યાએ પેવર બ્લોક પણ ઊખડી ગયા છે. તળાવના બ્યૂટિફિકેશન પાછળ કરોડો ખર્ચ્યા બાદ થોડાં વર્ષોમાં જ જે તે તળાવની પરિસ્થિતિ અગાઉ જેવી થઇ જાય છે. વડસર તળાવ પર કઈ કામગીરી કરાશે?} વોક-વે } ઘાટ } સ્ટોન પીચિંગ } રેલિંગ } ગઝેબો } એક્સપોઝ બ્રિક વર્ક } ફાઉન્ટેન

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:41 am

મંડે પોઝિટીવ:સૌરાષ્ટ્રભરની શાળામાં જઇ નિવૃત્તવન અધિકારી બાળકોને રમાડે છે વિસરાયેલી શેરી રમતો

આજના મોબાઈલ અને ડિજિટલ યુગમાં બાળકો ધીમે ધીમે મેદાનની રમતો અને દેશી રમતો ભૂલતા જઈ રહ્યા છે. મોબાઈલમાં ગેમ્સ, વીડિયો અને સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતા બાળકોના શારીરિક સ્વાસ્થ્ય સાથે સાથે સામાજિક સંસ્કાર પર પણ અસર પડી રહી છે. આવી સ્થિતિમાં નિવૃત્ત વન અધિકારી વી.ડી. બાલાએ અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરી છે. નિવૃત્તિ બાદ પણ સમાજ માટે કંઈક કરવાની ભાવનાથી પ્રેરાઈને આ વન અધિકારી સૌરાષ્ટ્રની વિવિધ શાળાઓમાં જઈ બાળકોને પરંપરાગત દેશી રમતો રમાડે છે. બાળકોને મોબાઈલથી દૂર કરીને મેદાન તરફ વાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના 2,00,000 બાળકોને શેરી રમત રમાડી ચૂક્યા છે. આ દેશી રમતો માત્ર મનોરંજન પૂરતી નથી, પરંતુ બાળકોમાં શારીરિક તંદુરસ્તી, ટીમવર્ક, સહકાર, ઝડપી નિર્ણયશક્તિ અને સંસ્કારનો વિકાસ પણ કરે છે. સૌરાષ્ટ્રભરની શાળાઓમાં જઇ બાળકોને રમતો રમાડવા માટે મોટા ભાગે શિયાળાની ઋતુનો સમયગાળો પસંદ કરે છે કેમ કે, આ દરમિયાન બાળકોનું શરીર પણ મજબૂત બને અને રમત રમીને ગરમી પણ ન લાગે. શાળાઓમાં જ્યારે બાળકો આ રમતો રમે છે ત્યારે તેમની આંખોમાં ઉત્સાહ અને ચહેરા પર આનંદ સ્પષ્ટ જોવા મળે છે. નિવૃત્ત વન અધિકારીનું માનવું છે કે, દેશી રમતો આપણી સંસ્કૃતિની અમૂલ્ય ધરોહર છે અને તેને નવી પેઢી સુધી પહોંચાડવી આપણી જવાબદારી છે. આ ઉપરાંત તેઓ રાત્રિ સભા યોજી ખેડૂતો સાથે સંવાદ પણ કરે છે. જૂની રમતો પાછળ શરીરની કસરત1. લંગડી-લંગડી : એક પગે કૂદવું અઘરું હોવાથી શરીર મજબૂત બને) 2. ઝાડ પર દોરડા બાંધી થોડા-થોડા અંતરે ગાંઠો મારી હોય અને ઉપર ચડવાનું : હાથની કસરત થાય 3. સાંઢિયો-સાંઢિયો : મોટા બાળકો નાના બાળકોને કમર પર બેસાડે તેથી લાગણી વધે, કમર મજબૂત બને 4. વર્તુળનો રાજા : 50 બાળકોના એક વર્તુળમાં 2 બાળકો, હાથ પાછળ રાખી ખભાથી બહાર કાઢવાના 5. હરણ અને સિંહ : 50 બાળકો હરણ અને 2 બાળકો સિંહ જે લંગડીથી અડવા આવે, પોષણ કડીના ભાગમાં હરણ પણ જરૂરી અને સિંહ પણ 6. ટાયર કૂદવાનું : થોડા-થોડા અંતરે 5 ટાયર રાખ્યા હોય તે કૂદવાના 7. ટાયર ખેંચવાના : સરખી ઊંચાઇ, વજનના 2 બાળકો ટાયર તેની તરફ ખેંચે જેથી તાકાતની ખબર પડે 8. કમાન્ડો બ્રિજ : બે સામ-સામે ઝાડમાં દોરડા બાંધી ચાલવાનું 9. ફૂંકથી ફુગ્ગા ફોડવાના : એક સાથે ફુગ્ગા ફૂટે તો દિવાળી જેવો માહોલ બને 10. શ્રીફળ ઘા કરવાનું : પાણી વિનાનું પાકું શ્રીફળ ઘા કરાવી, કોનો ઘા વધુ જાય તેની હરીફાઇ 11. કોથાળા દોડ, લીંબુ ચમચી, સંગીત ખુરશી, ધમાલિયો ધોક્કો, આંધળો પાટો, હાથેથી ટાયર ફેરવવા સહિતની જૂની શેરી રમતો રમાડાઇ છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:41 am

મંડે પોઝિટીવ:એલેમ્બિકના કર્મચારીઓ 2 મહિના 34 સ્કૂલોમાં ફર્યા,1600 વિદ્યાર્થીઓની ઇચ્છા પૂછી, હવે સિક્રેટ સાંતા બની પૂરી કરશે

વડોદરાની 25 સ્કૂલ અને 9 આંગણવાડીઓમાં 2 મહિનામાં પહોંચી એલેમ્બિકના કર્મચારીઓએ 1600 વિદ્યાર્થીની ઈચ્છા જાણી હતી. તે પછી હવે સિક્રેટ સાન્ટા તેઓ દરેક વિદ્યાર્થીઓને તેમની ઇચ્છા મુજબ ગિફ્ટ મોકલશે. આ પહેલાં કંપનીના 19 પ્લાન્ટ પર બાળકોનાં નામ, સ્કૂલનું નામ, તેમની વિશ અંગે વિગતો લખેલી ચિઠ્ઠીઓ ક્રિસમસ ટ્રી પર લગાવાઈ હતી. કર્મચારીઓએ ચિઠ્ઠી વાંચી પોતાના ખર્ચે બાળકો માટે ગિફ્ટ ખરીદી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, એલેમ્બિક જૂથ દ્વારા જોય ગીવિંગ કાર્યક્રમ હેઠળ બાળકોનાં સપનાં પૂરાં કરવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કર્મચારીઓ દ્વારા સાન્ટા બનીને આ આંગણવાડીઓ અને સ્કૂલમાં જઈને પ્રત્યેક બાળકોને તેમની ગિફ્ટ આપશે. ખાસ કરીને પોલીસ ડ્રેસ, ડોક્ટર કિટ, કિચન સેટ, રિમોટ કાર, ફ્રોક, સ્કૂલ બેગ, ટેન્ટ હાઉસ, વોટર બોટલ જેવી ગિફ્ટ આપીને તેમના ચહેરા પર નિર્દોષ સ્મિત લાવવામાં આવ્યું છે. એલેમ્બિક જૂથ દ્વારા 1500થી વધુ બાળકોની આંખની તપાસ કરાવાઈ

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:40 am

ફાયરબ્રિગેડે સ્ટોપરના સ્ક્રૂ ખોલી બાળકને બહાર કઢાયું:પોલીસ આવાસમાં રૂમની સ્ટોપર બંધ કરતાં દોઢ વર્ષનું બાળક ફસાયું

ભૂતડી ઝાંપા બસ ડેપો પાછળના ભાગમાં પોલીસ જવાનોના આવાસના એક ટાવરમાં દોઢ વર્ષનો ટાબરિયાએ રમત રમતમાં રૂપમની સ્ટોપર બંધ કરતાં પૂરાઇ ગયો હતો. સદભાગ્યે રવિવાર હોવાથી માતા-પિતા ઘરમાં હતાં.તેમણે ફાયરબ્રિગેડને જાણ કરતાં લાશ્કરોએ સ્ટોપરના બહારની તરફના સ્ક્રૂ ખોલી તેને કાઢ્યો હતો. પોલીસ લાઇનના બી ટાવરમાં છઠ્ઠા માળે સવારે 10 વાગ્યાના સુમારે બનેલી ઘટનામાં પરિણીતાએ બાળક સૂતું હોવાથી બહારથી બારણું બંધ કર્યું હતું. જોકે દોઢ વર્ષનું બાળક ઊંઘમાંથી જાગીને બારણા પાસે પહોંચ્યું અને સ્ટોપર બંધ કરી હતી. તેના પિતાએ કહ્યું કે, સ્ટોપર પુત્રથી ખૂલે તેવી શક્યતા જ ન હોવાથી ફાયરબ્રિગેડને ફોન કર્યો હતો. લાશ્કરોએ બારણાની બહારની તરફના સ્ક્રૂ ખોલી બાળકને બહાર કાઢ્યો હતો. પોલીસ આવાસમાં એક સપ્તાહમાં બીજી ઘટનાભૂતડીઝાંપા પોલીસ લાઇનના આવાસોમાં એક જ અઠવાડિયામાં એક સરખી ઘટના બે વાર બની હતી. શુક્રવારે બી ટાવરના ચોથા માળે એક બે વર્ષની બાળકી અને તેની માતા ગેલેરીનો દરવાજો પવન આવતાં બંધ થવાથી ફસાયા હતા. જોકે બે કલાક બાદ ફાયરબ્રિગેડને ફોન કરતાં ટીમે પાંચમા માળેથી અન્ય ગેલેરીની બારીમાં ઊતરીને રૂમમાં પ્રવેશી સ્ટોપર ખોલી હતી.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:39 am

96 કિમીના રૂટ પર ટ્રેન અકસ્માતની શક્યતા નહિવત:પશ્ચિમ રેલવેમાં પ્રથમવાર બાજવા-અમદાવાદ વચ્ચે ‘કવચ’નો પ્રારંભ

ભારતની સ્વદેશી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ કવચનું ઇન્સ્ટોલેશન બાજવા-અમદાવાદ રેલવે લાઇન પર કરાયું છે. પશ્ચિમ રેલવેમાં પ્રથમવાર આ પ્રણાલી કાર્યરત કરાઈ રહી છે. 96 કિમીના આ રૂટ પર હવે અકસ્માત થવાની શક્યતા લગભગ નહિવત થશે. રેલવે મંડળના પ્રબંધક રાજુ ભડકે દ્વારા રવિવારે આ પ્રણાલીનું અવલોકન કરાશે. ત્યારબાદ વિધિવત આ સિસ્ટમને કમિશન્ડ કરાશે. આ વિશે જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાએ જણાવ્યું કે, આ ખંડમાં દોડતા બધા જ રેલવે એન્જિનો આ કવચ પ્રણાલીથી સુસજ્જ કરાયા છે. બીજી તરફ કાંદીવલી પાસે મોટો બ્લોક લેવાયો હોવાથી મુંબઇ તરફથી આવતી કેટલીક ટ્રેનો દોઢથી સાડા ત્રણ કલાક મોડી પડી હતી. કવચ ટ્રેક, સિગ્નલ, ટ્રેન વચ્ચે સતત સંવાદ સાધે છેલોકો પાઇલટ ભૂલ કરે કે રેડ સિગ્નલ પાર કરવાની નાછૂટકે નોબત આવે તો સિસ્ટમ આપોઆપ બ્રેક લગાવે છે. એટલે કે તે ટ્રેક, સિગ્નલ અને ટ્રેન વચ્ચે સતત સંવાદ સાધે છે. જો એક જ પાટા પર બે ટ્રેનો આવી જાય તેવી સ્થિતિ હોય તો પણ તે જોખમ પણ કવચ ઘટાડે છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:38 am

સિટી એન્કર:વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં રાજકોટના પટોળાને મળશે વૈશ્વિક ઓળખ

જીન્સ-ટીશર્ટ, ટોપ, પ્લાઝાના વર્તમાન સમયમાં મહિલાઓ સલવાર, કુર્તી, લેગિંગ્સ, જેગિંગ્સ કોટસૂટ જેવા વિવિધ પરિધાન પહેરતી હોવા છતાં સાડીનું નામ પડે એટલે કોઈપણ સ્ત્રી પટોળાને પસંદ કરે છે. એક સમયે રાજવી પરિવારોની શાન ગણાતા પટોળા હવે ફિલ્મ સ્ટાર્સ, એનઆરઆઈ અને વિદેશી નાગરિકો પણ પસંદ કરી રહ્યા છે. હાલના સમયમાં રાજકોટના પટોળા ખૂબ જ પ્રચલિત થયા છે ત્યારે આગામી તા.10થી 12 ડિસેમ્બરે રાજકોટ ખાતે યોજાનાર કચ્છ-સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સના એક્ઝિબિશનમાં રાજકોટના પટોળા માટે સ્ટોલની ફાળવણી કરવામાં આવતા હવે રાજકોટના પટોળાને વૈશ્વિક ઓળખ મળશે. રાજકોટના પટોળા કલાકારોને રીજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સના એક્ઝિબિશનમાં સ્થાન આપવામાં આવતા પટોળાવર્ક સાથે જોડાયેલ પરિવારો ખૂબજ ઉત્સાહિત છે. પટોળા કલાકાર ચંદ્રેશભાઈ રાઠોડ જણાવે છે કે, અમારી ત્રણ પેઢી હાથવણાટ પટોળા ગૃહ ઉદ્યોગમાં વંશ પરંપરાગત રીતે જોડાયેલી છે. વાઇબ્રન્ટ એક્ઝિબિશન થકી વિદેશમાં પણ હવે પટોળાનું વેચાણ કરી શકીશું, પટોળાના કારીગર દીપકભાઈ વોરા જણાવે છે કે, અમારે ત્યાંથી રાજકોટના રાજવી પરિવાર, ફિલ્મ સ્ટાર્સ અને એનઆરઆઈ લોકો ખરીદી કરે છે. દીપકભાઈના પરિવારના યુવા સભ્યો હવે વેબપોર્ટલ અને ડિજિટલ માધ્યમથી પટોળાની આકર્ષક કિંમત મેળવી રહ્યા છે. રૂપિયા 10 હજારથી લઈ રૂ.1.50 લાખ સુધીના પટોળા બને છેસંપૂર્ણપણે હાથવણાટથી જ તૈયાર થતા પટોળા બજારમાં રૂપિયા 10 હજારથી લઈ દોઢ લાખ રૂપિયા સુધીની કિંમતના હોય છે. એક પટોળું તૈયાર કરતા લગભગ એકથી દોઢ મહિના જેટલો સમય લાગે છે. પટોળા માત્ર રેશમના દોરામાંથી તૈયાર કરવામાં આવતા હોવાથી ગુણવત્તા, મજબૂતાઈ અને ચમક જળવાઈ રહે છે. પટોળાનું આયુષ્ય 50 વર્ષથી પણ વધુ રહે છે. કેવી રીતે તૈયાર થાય છે પટોળાપટોળા બનાવતા પહેલા તેની ડિઝાઇન નક્કી થાય છે. જેમાં રંગબેરંગી પાન,પતંગિયા, હાથી, પોપટ, રંગોળી, લેરિયા સહિતની ડિઝાઇન નક્કી થાય છે. ડિઝાઇન મુજબ તેમાં ગાંઠ બાંધી એક પછી એક કલર ચડાવવામાં આવે છે, જેને વણાટ મશીન પર ચડાવવામાં આવે છે. ઊભા તાર માટે બેકગ્રાઉન્ડ કલરના તાર અને બોર્ડર માટે સોનેરી વરખના તાર સાથે વણાટકામ કરવામાં આવે છે. જેમાં સિંગલ ઇકત ડબલ ઇકત એમ બે પ્રકારે વણાટ કરવામાં આવે છે. પટોળા થકી 750 લોકોને રોજગારરાજકોટના પટોળા ગૃહ ઉદ્યોગનું હબ બન્યું છે ત્યારે હાલમાં શહેર તેમજ જિલ્લામાં અંદાજે 150થી વધુ પરિવારના 700થી વધુ લોકો પટોળા કલાને આગળ ધપાવી રહ્યા છે.ખાસ કરીને રાજકોટના પટોળાને જી-આઈ ટેગ પણ મળ્યો હોઈ પટોળાની વિશ્વસનીયતામાં વધારો થયો છે.પટોળાની સાથે સાથે હવે લહેંગા, દુપટ્ટા, શાલ, પર્સ, મોજડી અને પુરુષો માટે ટાઈ, કોટી સહિતના કાપડ પણ બની રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:37 am

ગૃહ મંત્રીને ફરિયાદ, જામીન વગર સીમ નહીં આપવાનો નિયમ બનાવવો:ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવા કોલ આવ્યો તો કહ્યું, તારી સ્કૂલનો પ્રિન્સિપાલ છું

સામાન્ય લોકોને ઠગતા સાઇબર ઠગોએ હવે ધારાસભ્યને પણ નિશાના પર લીધા છે. સાઇબર ઠગનો ભેટો વડોદરાના ધારાસભ્ય સાથે થયો હતો. ધારાસભ્ય યોગેશ પટેલને મુંબઈ પોલીસમાંથી બોલું છું, તમારા નામની નોટિસ મોકલી છે, તેવો ફોન આવ્યો હતો. જેને પગલે તેમણે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરી હતી. જ્યારે સાઇબર ક્રાઇમે ગુનો નોંધ્યો છે. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને રવિવારે સવારે અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. જેમાં તેમને નંબર પૂછીને તેમનું નામ પૂછવામાં આવ્યું હતું. સામે છેડેથી બોલતા વ્યક્તિએ પોતે મુંબઇ પોલીસમાંથી બોલે છે અને તમારા નામે નોટિસ મોકલી હોવાનું જણાવ્યું હતું. જેના જવાબમાં ધારાસભ્ય યોગેશ પટેલે તેને કહ્યું હતું કે, તું જે સ્કૂલમાં ભણે છે તેનો હું પ્રિન્સિપાલ છું, જે સાંભળીને સાઇબર ઠગે ફોન કટ કરી દીધો હતો. ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, મને ફોન આવ્યા બાદ મેં પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી. તેમણે સાઇબર ક્રાઇમના અધિકારીને કહેતાં તેમણે મારી ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ મેં ગૃહમંત્રી હર્ષ સંઘવીને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, શહેરમાં લારીઓ પર સિમકાર્ડ વેચાય છે, જેથી ગુનેગારોને મોકળું મેદાન મળી રહે છે. જે પ્રકારે બેંકમાં ખાતું ખોલવવા માટે બે જામીનની જરૂર હોય છે તેમ સિમકાર્ડ પણ જામીન આપે તેને જ આપવું જોઇએ, તો જ ગુના કંટ્રોલમાં આવશે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:35 am

મંડે મેગા સ્ટોરી:બાજવામાં બારમાસી જળ સંકટ: લોકો રેલવે સ્ટેશન-સ્મશાનમાંથી પાણી ભરવા મજબૂર

બાજવા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર આવી ત્યાંના નળ પરથી પાણીનાં બેડાં ભરીને મહિલાઓ બેરોકટોક નીકળી જાય છે. રેલવેના કાયદા મુજબ મહિલાઓની હરકત પાણીની ચોરી છે. બાજવા ગામ જીએસએફસી અને રિફાઇનરી જેવી કંપનીઓની પડખે છે. જોકે આઝાદીનાં 78 વર્ષે પણ બાજવાના લોકોને પીવાનું પૂરતું પાણી આપવામાં તંત્ર નિષ્ફળ જતાં તેઓ કાયદાનો ભંગ કરવા મજબૂર બન્યા છે. પંચાયત પાસે પાણીની 2 ટાંકી છે, પણ ફિલ્ટર પ્લાન્ટ નથી. માંડ 12 વર્ષ પૂર્વે પંચાયતે બનાવેલી ટાંકીને ગ્રહણ હોય તેમ ચોવીસે કલાક પાણી ઝમે છે. જ્યારે 5 દાયકા અગાઉની ટાંકી અડીખમ છે. બીજી તરફ લોકો રિફાઇનરીએ સ્મશાનમાં મૂકેલા નળથી પીવાનું પાણી ભરે છે અને આ જ તેમની ‘પરબ’ છે, જેના પાણીથી પોતાની તરસ છીપાવે છે. બાજવાના અંદાજે 4 હજાર લોકોને પાણીનો પ્રશ્ન સતાવે છે. જ્યારે રેલવે પ્લેટફોર્મ પર આવતા લોકોને રોકી શકાતા નથી. કારણ કે, એક જ આરપીએફ જવાન બાજવાને અપાયો છે, જે ગેટ (ફાટક) નં. 238થી 241 વચ્ચે જ બાઇક લઇને ફરજ તૈનાતી પર ફરતો હોય છે. આ હાલતમાં આ સ્ટેશન પર પ્લેટફોર્મ પરથી પાટા ઓળંગીને કાયદાનો ભંગ કરતા મુસાફરો પણ બિન્ધાસ્ત જોવા મળે છે. પાણી બાજવામાં વપરાય છે, બિલ આણંદથી ચૂકવાય છેબાજવા રેલવે સ્ટેશન પર જે પાણી વપરાય છે, તેનું બિલ આણંદના રેલવે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ચૂકવાય છે. કારણ કે રિફાઇનરી પાણીનું બિલ આણંદની ઓફિસ ખાસે મોકલે છે. આ બિલ વધારે આવતાં રેલવે સ્ટેશન પર તાકીદ પણ કરવામાં આવી હતી, જે અંતર્ગત રેલવે સ્ટેશન પર પાણીનો વપરાશ ઘટાડવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. કેટલીકવાર નાહવાલાયક પણ પાણી આવતું નથીબાજવા પૂર્વ વિસ્તારમાં ઘણીવાર નાહવાલાયક પણ પાણી નથી મળતું.સંપન્ન લોકો પાણી ખરીદે છે, પણ મધ્યમ વર્ગે સ્મશાને પાણી ભરવા જવું પડે છે. > કમલેશ રાઠોડ, બાજવા રિફાઇનરી-જીએસએફસી ફિલ્ટર પ્લાન્ટ બનાવી આપેરિફાઇનરી અને જીએસએફસીનો ધુમાડો અને પ્રદૂષણ અમે બારેમાસ લઇએ છીએ.આ કંપનીઓ ફિલ્ટર પ્લાન્ટની વ્યવસ્થા ન કરી શકે? > ધર્મેન્દ્રસિંહ રાઠોડ, સભ્ય, પંચાયત પાણી માટે ‘પાણી’ બતાવતાં ગામના જ 10 લોકોને દોઢ મહિનો જેલવાસ ભોગવવો પડ્યોબાજવામાં પાણી માટે દાયકા અગાઉ કેટલાક યુવાનોએ પંચાયત ઓફિસમાં જઇ ઉગ્ર રજૂઆત કરી તોડફોડ કરી હતી. આ માટે ગામના યુવાનો અને આધેડ સહિત 10 લોકોને દોઢેક મહિનાનો જેલવાસ થયો હતો. એટલું જ નહીં હજી બે મહિના અગાઉ જ આ કેસ પૂરો થયો ત્યાં સુધી એ લોકોને તારીખ પડતાં કોર્ટમાં જવું પડતું હતું. માતા મોબાઇલમાં મગ્ન, બાળકે બેગ સાથે ટ્રેક ઓળંગ્યોબાજવા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં.2 પરની ટ્રેનોમાં ઊતરતાં સંખ્યાબંધ યાત્રીઓ પાટા પર ઊતરીને બિન્ધાસ્ત રીતે પહેલા પ્લેટફોર્મ પર જાય છે. તેમને રોકવા કોઇ સ્ટાફ ન હોવાથી આ ગુનો રોજેરોજ થાય છે. અહીં અમદાવાદથી આવેલી એક ટ્રેનમાં ઊતર્યા બાદ માતા મોબાઇલમાં વ્યસ્ત છે, જ્યારે માંડ પાંચ-સાત વર્ષનો બાળક મોટી ટ્રાવેલર બેગ સાથે પાટા ઓળંગી રહ્યો છે. ત્યારબાદ માતા પર પાટા પર ઊતરીને પ્લેટફોર્મ નં.1 પર પહોંચી હતી.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:34 am

ઠગાઈનો મામલો:શેરબજારમાં 10 હજારની સામે 950 નફો આપ્યો, પછી વધુ રોકાણ કરાવી ઠગે 12 લાખ પડાવી લીધા

ફાર્મા કંપનીના કર્મચારીને શેર બજારમાં રોકાણ કરવાના બહાને ગ્રૂપમાં એડ કરી 15 દિવસ સુધી મેમ્બરે મુકેલા પ્રોફિટના સ્ક્રીનશોટ જોઇ યુવકે રૂ.10 હજારનું રોકાણ કર્યું, બીજે દિવસે જ તેમને રૂ.950 નફા સાથે રૂ.10,950 બેલેન્સ દેખાતાં પૈસા વિડ્રોની પ્રોસેસ કરતા ખાતાંમાં રૂ.10 હજાર જમા થયા હતા. જેથી વિશ્વાસ આવતા યુવકે 4 મહિનામાં સાઈબર ગઠિયાઓએ રૂ.12.06 લાખ પડાવી લીધા હતા. નરોડામાં રામવંદન સોસાયટીમાં રહેતા અને ફાર્મા કંપનીમાં પેકિંગ ઓફિસરની જોબ કરતા દીપક વાળંદ(24)ને 4 મહિના પહેલા ફોનમાં આવેલી લિંક ઓપન કરતા દીપક વોટસએપ ગ્રૂપમાં એડ થઈ ગયા હતા. ગ્રૂપની એડમિન વંશિકા ગીલે દીપકને ફોન કરી કહ્યું કે, અમારી કંપની દ્વારા શેર બજારમાં રોકાણથી સારો નફો મળશે. જેમાં નફાની 10 ટકા રકમ વંશિકા ગીલને આપવાની હતી. ત્યાર પછી લગભગ 15 દિવસ સુધી દીપકે ગ્રૂપના મેસેજ જોયા, તેમાં જે મેમ્બરને નફો થતો તેઓ તેમના સ્ક્રીનશોટ ગ્રૂપમાં મુકતા હતા. તે જોઈ દીપકને પણ પૈસા કમાવાની લાલચ થતા તેણે વંશિકા ગીલને વાત કરતા તેણે એક એપ્લિકેશન મોકલી હતી, તેમાં દીપકે રજિસ્ટ્રેશન કરાવી યુઝર આઈડી-પાસવર્ડ જનરેટ કરી પહેલી વાર રૂ.10 હજારનું રોકાણ કર્યું હતું. બીજા જ દિવસે દીપકને એપ્લિકેશનમાં નફા પેટે રૂ.950 સાથે રૂ.10,950 બેલેન્સ દેખાતું હતું. નફો જણાતા દીપકે પૈસા વિડ્રોની પ્રોસેસ કરતા ખાતામાં રૂ.10 હજાર જમા થયા હતા. વિશ્વાસમાં આવી દીપકે 4 મહિનામાં ટુકડે ટુકડે રૂ.12.06 લાખનું રોકાણ કરી દીધું હતું. જ્યારે એપ્લિકેશનમાં તેમને પ્રોફિટ સાથે રૂ.54.19 લાખ બેલેન્સ દેખાતું હતું. દીપકે પૈસા વિડ્રો કરવાની પ્રોસેસ કરતાં રકમ હોલ્ટ થઈ અને વધુ પૈસા ભરવાનું કહ્યું હતું. જેથી સાઈબર ગઠિયાએ કોઈ મહિલાના નામની ફેક પ્રોફાઈલ બનાવી તેની સાથે વાત કરી રોકાણ કરાવ્યાની જાણ થતા દીપકે સાઈબર ક્રાઈમમાં છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ વર્ષે શેરબજારમાં રોકાણના બહાને 450 કરોડની છેતરપિંડી2025માં સાઈબર ગઠિયાઓએ ગુજરાતના 1.50 લાખ લોકોને શિકાર બનાવી રૂ.1200 કરોડ કરતાં વધુ ખંખેર્યા હતા. તેમાંથી 10 હજાર લોકો પાસે ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડના બહાને રૂ.450 કરોડ પડાવ્યા. જેનો હિસ્સો સાઈબર ક્રાઈમમાં ગયેલા કુલ પૈસામાંથી 35-40 ટકાથી વધુ છે. પોલીસનું કહેવુ છે કે, સાઈબર ગઠિયાઓ ડિજિટલ અરેસ્ટ, ઓન લાઈન શોપિંગ ફ્રોડ, ઓટીપી ફ્રોડ, કાર્ડ ફ્રોડમાં જેટલા પૈસાની છેતરપિંડી કરે છે. તેના કરતાં ડલબ પૈસા ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં ભેગાં કરી લે છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:33 am

બેફામ ડમ્પરચાલકે સર્જાયો ગંભીર અકસ્માત:દાસ્તાન સર્કલ પાસે ડમ્પરે ટુવ્હીલરચાલક મહિલાને 100 મીટર ઢસડી મોત નીપજાવ્યું

નવા નરોડા વિસ્તારમાં રહેતાં મધુ દેવી ટુવ્હીલર લઈને કામ અર્થે ટુવ્હીલર લઈને કઠવાડા તરફ જઈ રહ્યા હતા. દાસ્તાન સર્કલથી કઠવાડા તરફ જવાના રોડ પહોંચ્યા હતા તે સમયે બેફામ રીતે આવેલા ડમ્પરચાલકે ટુવ્હીલરને ટક્કર મારી હતી. આથી મધુદેવી હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાઈ પડ્યા હતા. બીજી બાજુ ડમ્પરનું ટાયર મધુદેવીના માથા પરથી ફરી વળ્યું હોવાથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ડમ્પરે 100 મીટર સુધી ટુવ્હીલરચાલક મહિલાને ઢસડ્યાં હતાં. અકસ્માતના પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ડમ્પરચાલર ભાગે તે પહેલા જ તેને પકડી માર મારી પોલીસને સોંપ્યો હતો. સાથે જ ડમ્પર પર પણ પથ્થરમારો કરીને કાચ તોડી નાખ્યા હતા. આ મામલે એચ ડિવિઝન ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલક અમરા ખરાડી (ઉં.60, ડુંગરપુર) વિરુદ્ધમાં ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. બીજી ઘટનામાં પૌત્રીની ખબર કાઢવા માટે રાજસ્થાનથી નરોડા આવેલા 64 વર્ષીય રેખાજીભાઈ નરોડા સિટી સેન્ટર પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે ઓવરસ્પીડમાં આવેલા ટુવ્હીલર ચાલકે તેમને ટક્કર મારી હતી. જેના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રેખાજીભાઈને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે. પાંચ વર્ષમાં ડમ્પરને કારણે 76 લોકોનાં મોત થયાંશહેરમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં ડમ્પર ચાલકોની બેદરકારીના કારણે 145 અકસ્માતો થયા છે. જે અકસ્માતોમાં 76 નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 55 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને 40 વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે. રસ્તા પર બેફામ દોડતા ડમ્પરો બીજા વાહન ચાલકો માટે જાણે જોમખી થવા લાગ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:32 am

પ્રજાજન પરેશાન:વસ્ત્રાલમાં 15 જગ્યાએ ખોદકામ, ફૂટપાથનું કામ મંથર ગતિએ, મેટ્રો સ્ટેશને પાર્કિંગનો અભાવ, દબાણોને કારણે રસ્તા સાંકડા

વસ્ત્રાલ વોર્ડમાં વિકાસની સાથે અનેક સમસ્યાઓ સ્થાનિકો સાથેની ચર્ચામાં સામે આવી. પંદરેક રસ્તા પર સતત ચાલતા ખોદકામ અને અધૂરાં કામોને લીધે ઊડતી ધૂળની ડમરીઓની સાથે વાયુ પ્રદૂષણથી સ્થાનિકોનું સ્વાસ્થ્ય જોખમાયું છે. બિસ્માર રસ્તા હોવા છતાં તંત્ર તરફથી તેના નિરાકરણ માટે કોઈ પ્રયાસો કરાતા નથી. સૌથી ગંભીર પ્રશ્ન પ્રતિબંધિત સમયમાં પણ દોડતાં ભારે વાહનોનો છે, જેના કારણે સ્કૂલે જતા બાળકો અને વાલીઓને અકસ્માતનું જોખમ રહે છે. ટ્રાફિકની સમસ્યા પણ વકરી છે. ફૂટપાથ પર દુકાનોનાં દબાણ અને મેટ્રો સ્ટેશન નીચે પાર્કિંગના અભાવે લોકો પરેશાન છે. આ ઉપરાંત મ્યુનિ.ના પ્લોટમાં દબાણો, ગાર્ડનોમાં જાળવણીનો અભાવ છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની અસહ્ય દુર્ગંધથી સ્થાનિકો પરેશાન છે. મ્યુનિ. સ્ક્વોડ ફરે છે પણ દબાણ, ગંદકી મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જ્યાં ગેરકાયદે પાર્કિંગને કારણે ટ્રાફિક ત્યાં જ વાહનો ટો કરાતાં નથી વસ્ત્રાલ વોર્ડમાં વાહન ટોઈંગની કામગીરી જ્યાં ટ્રાફિક થતો નથી તેવી જગ્યાએ થઈ રહી છે. જ્યાં ટ્રાફિક વધુ થાય છે ત્યાં નો પાર્કિંગમાં પણ પાર્ક કરેલાં વાહનો સામે કોઈ કાર્યવાહી કરાતી ન હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. વરસાદી પાણીનો ઉકેલ લાવવા કામ ચાલુ છે, ખોદકામ સહિતનાં કામો તાકીદે પૂર્ણ કરાશેજ્યાં ખોદકામ, ફૂટપાથનાં કામો થાય છે તે ઝડપી કરવા સૂચન કરાશે. વરસાદી પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે કામ ચાલુ છે. શાળાઓ પાસે અને તેની આસપાસના રોડ પર વધી રહેલી ભારે વાહનોની અવરજવર અંગે ધારાસભ્યનું ધ્યાન દોરી સમસ્યાનો ઉકેલ લવાશે. આ સાથે વોટર ટ્રીટમેન્ટમાંથી આવતી દુર્ગંધ અંગે પણ તપાસ કરી લોકોની હાલાકીને દૂર કરવા કાર્ય કરાશે. દબાણ અંગે પણ એસ્ટેટ વિભાગનું ધ્યાન દોરીને સમસ્યાનો ઉકેલ લવાશે. - અનિરુદ્ધસિંહ ઝાલા, કોર્પોરેટર ભારે વાહનો સામે કાર્યવાહી થશે, ટ્રાફિક જ્યાં થશે ત્યાં ટોઈંગની કામગીરી કરાશેવિસ્તારમાં પ્રતિબંધિત સમયમાં ભારે વાહનોની અવરજવરની જે ફરિયાદો છે તેની યોગ્ય તપાસ કરાવીને ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. જ્યાં ટ્રાફિક થતો ન હોય તેવી જગ્યાને બદલે ટ્રાફિકની સમસ્યા જ્યાં વધારે હોય છે તેવા ચાર રસ્તા અને રોડ પર ટોઈંગની કામગીરી થાય તે અંગે સૂચના આપવામાં આવશે. લોકો પાર્કિંગની જગ્યામાં જ પોતાનાં વાહનો મૂકે અને નો પાર્કિંગમાં વાહનો પાર્ક ન કરે તેનું ચોક્કસ ધ્યાન પણ રાખવું જોઈએ. આથી ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય. - નરેશ કણજારિયા, ઇસ્ટ ટ્રાફિક ડીસીપી

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:28 am

કાર્યવાહી:માંકણજમાં ટેન્કરમાંથી ઓએનજીસીનું ક્રૂડ ઓઈલ ચોરી કરીને ટ્રકમાં ટાંકામાં ભરતો શખ્સ ઝડપાયો

સાંથલ પોલીસે જોટાણા તાલુકાના માંકણજ ગામે ક્રૂડ ઓઇલની ચોરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ચોરીનું 10 હજાર લિટર ક્રૂડ અને બે વાહનો સહિત રૂ.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરી, ટેન્કરમાંથી ટ્રકના ટાંકામાં ક્રૂડ ભરતા શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે આ ઓઇલચોરી કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. માંકણજ ગામનો શૈલેશસિંહ ઉર્ફે શલુભા નવલસિંહ ઝાલા ઓએનજીસીના ક્રૂડ ઓઇલની હેરાફેરી કરતા ટેન્કરમાં ડ્રાઇવર છે અને હાલમાં ટેન્કર તેના ઘરે રાખી તેમાંથી ક્રૂડ ઓઇલની ચોરી કરી, મળતિયા સાથે એક ટ્રકમાં મૂકેલા ટાંકામાં ભરી રહ્યો છે તેવી બાતમી આધારે સાંથલ પોલીસે માંકણજ ગામે રેડ કરી હતી. જેમાં પોલીસે ઘટના સ્થળેથી રૂ.4 લાખનું ચોરીનું 10,000 લિટર ક્રૂડ ઓઇલ ઝડપી પાડ્યું હતું. આ સાથે પોલીસે જે ટ્રકમાં ક્રૂડ ઓઇલ ખાલી કરતા તે ટ્રક (જીજે 09 વાય 8245), ટેન્કર (જીજે 18 બીડબલ્યુ 3562), મોબાઇલ અને રોકડ રૂ.500 મળી કુલ રૂ.24,03,500ના મુદ્દામાલ સાથે નંદાસણના સૈયદ અસદુલ્લા મહંમદહુસૈન સૈયદની ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય સૂત્રધાર ડ્રાઇવર શૈલેશસિંહ નવલસિંહ ઝાલા (રહે.માંકણજ), ઇમરાન રહીમખાન પઠાણ (રહે.મંડાલી) અને અસલમ યુનુસભાઇ સૈયદ (રહે.નંદાસણ) વોન્ટેડ હોઇ ચારેય સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:28 am

મતદાર:ડ્રાફ્ટ યાદીમાં નામ તો આવી ગયું, હવે શા ના ડોક્યુમેન્ટ? BLO : નો મેપિગમાં છે, ફાઇનલ યાદીમાં નામ રાખવા આપવા પડે

નો મેપિંગવાળા મતદારોને નોટિસ વગર તેમના પુરાવા એકત્ર કરી ઓનલાઇન અપલોડ કરવા બીએલઓને સૂચવાયું છે. ત્યારે મહેસાણામાં બીએલઓ જરૂરી પુરાવા મેળવી તે અપલોડના કામે લાગ્યા છે. આવામાં ડ્રાફ્ટયાદીમાં પોતાનું નામ જોઇ લીધું હોય તેવા નો મેપિંગ મતદાર પાસે બીએલઓ તેમના જન્મનો દાખલો, એલસી કે પાસપોર્ટ કોપી સહિતના પુરાવાની માગણી કરે ત્યારે વળતો સવાલ નામ તો આવી ગયું છે, હવે શા ના ડોક્યુમેન્ટ?. સામે બીએલઓ આ કામચલાઉ યાદીમાં નામ છે, હવે ફાઇનલ યાદી ફેબ્રુઆરીમાં આવશે તે યાદીમાં નામ રહે તે માટે પુરાવા જરૂરી છે તેમ જણાવી પુરાવા એકઠા કરી રહ્યા છે. શહેરના એ ક બીએલઓએ જણાવ્યું કે, ઘરમાં દીકરા કે દીકરીનો લગ્ન પ્રસંગ હોય ત્યારે મહેમાનોને આમંત્રણ સાથે ખાસ ફોન કરતાં તેના કરતાં વધુ હાલ એસઆઇઆરમાં મતદારોના સંપર્ક અને પુરાવા એ કઠા કરવા માટે કરી રહ્યા છીએ. બુથ ઉપર મતદારો આવી જાય તે માટે સતત ફોન સંપર્ક કરી રહ્યા છીએ. મોટાભાગે નો મેપિંગ મતદારોના પુરાવા ફોર્મ લેતી વખતે લેવાઇ ગયા છે. નવા મતદારોએ ડેક્લેરેશન ફોર્મ ભરવું ફરજિયાત છે હવે 18 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકે મતદાર બનવા માટે ફોર્મ નં.6ની સાથે તેમના માતા કે પિતાની વર્ષ 2002ની મતદાર યાદીની વિગતો દર્શાવતું ડેક્લેરેશન ફોર્મ ભરવું ફરજિયાત છે. ડેક્લેરેશન ફોર્મ ભર્યા વગર માત્ર ફોર્મ નં.6 બીએલઓ કે ચૂંટણી કચેરીએ આપેલ હશે તો આગામી મતદાર યાદીમાં નામ આવશે નહીં. એટલે નવા મતદાર બનતાં યુવાનોએ હવે વર્ષ 2002ની મતદાર યાદીમાં તેમના માતા કે પિતાનો ભાગ અને ક્રમ નંબર શોધીને મેપિંગ કરી ડેક્લેરેશન સાથે ફોર્મ નં.6 ભરીને આપવું પડશે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:27 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:આઇકોનિક''ના ચક્કરમાં વિસનગર લિંક‎રોડ 12 મીટરમાંથી 7 મીટરનો કરી નાખ્યો‎

મહેસાણા શહેરમાં યુજીવીસીએલથી માનવ આશ્રમ તરફના વિસનગર લિંક રોડને આઇકોનિક બનાવવા હયાત ડામર રોડનો ઉપયોગ કરી ફુટપાથ, પાર્કિંગ સહિતની સુવિધા ઊભી કરી મનપાએ છ માર્ગીય રોડને ચાર માર્ગીય બનાવી દીધો છે. સુશોભન સાથે પાર્કિંગ, ફૂટપાથની સુવિધા જરૂરી સારી વ્યવસ્થા છે, પરંતુ, રોડની કપાત સાથે જ ટ્રાફિક સમસ્યા પેદા થઇ રહી છે. આ રોડ વિસનગર, વડનગર, અંબાજી અને ગાંધીનગર તરફ જવાનો મુખ્ય રોડ હોઇ ભવિષ્યમાં વાહનો અને ટ્રાફિક બંને વધવાના નિશ્ચિત છે. ત્યારે આઇકોનિક વિકાસમાં રોડ સાંકડો બની જતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આ વશે. ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરી રોડનો વિકાસ કરોમનપાએ આઇકોનિક રોડનું કામ શરૂ કરતાં પહેલાં વિસ્તારના લોકો સાથે કોઇ સંવાદ કર્યો નથી. રોડની બાજુમાં મહદઅંશે જગ્યા ખુલ્લી છે, ક્યાંક દબાણ છે તે દૂર કરીને કે માલિકીની હોય તો મોઢેરા રોડની જેમ સંમતીથી લઇને ફુટપાથ, પાર્કિંગ ડેવલપ કરવું જોઈએ. હજુ એક સાઇડ આખી બાકી છે ત્યારે આ રોડ સાઇડ ખુલ્લી હોઇ તેનો ઉપયોગ આઇકોનિકમાં કરી રોડ પહોળો જ રાખવો જોઇએ, જેથી ટ્રાફિકની સમસ્યા પેદા ન થાય.> સ્થાનિક રહીશો રોડ સાંકડો થવાથી સમસ્યા વકરશેવિસનગર લિંક રોડની આ બંને સાઇડ મળીને હયાત 24 મીટર ડામર રોડ હતો. જેમાં બંને સાઇડ 12-12 મીટર ડામર રોડ વચ્ચે ડિવાઈડરના 17 કટ પૈકી 5 રખાયા છે. 12 કટ બંધ કરાયા છે. આવામાં યુજીવીસીએલમાં આવતાં ભારે વાહનોને સાંકડા રસ્તામાં મુશ્કેલી પડતાં ડિવાઈડર કટ ખોલવો પડ્યો હતો. યુજીવીસીએલ ચોકડી પોસ્ટ ઓફિસ, બિલાડી બાગ તેમજ ગાયત્રી મંદિર રોડ તરફથી આવતાં રોજ ટ્રાફિક હોય છે. ત્યાં રસ્તો 7 મીટરનો થઇ જતાં આ હાલત થઇ છે. અત્યારથી જ માનવ આશ્રમ સર્કલ નવો ટ્રાફિક પોઇન્ટ બનવા જઇ રહ્યો છે. પાર્કિંગ, ફુટપાથ રોડનો જ ભાગ, વાહન ચલાવવા માટે બે લાઈનનો ઉપયોગ થાય છે : મનપા‎બાંધકામ ઇજનેરે કહ્યું કે, પાર્કિંગ એ રોડનો જ ભાગ છે. રોડ સળંગ હતો ત્યારે પણ પાર્કિંગ થતાં. રોડ પર વાહન ચલાવવા બે લાઈનનો‎ઉપયોગ થતો હોય. અત્યાર સુધી ચાલીને પસાર થવા લોકોને નજર અંદાજ કરાતા હતા. એટલે વાહનો પસાર થતા હોય ત્યાં લોકો પણ‎ચાલતા. રસ્તો ચાલવા માટે અને પાર્કિંગ માટે પણ છે એ ડિઝાઇન સાથે રોડ ડેવલપ કરાઇ રહ્યો છે. માર્જીન સળંગ સમાંતર ન મળી શકે.‎

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:26 am

શહેરની સ્કૂલોમાં લંચ બોક્સમાં નો જંકફૂડ મિશન:વિદ્યાર્થીઓ ઘરે બનેલું જમવાનું જ લઈ જઈ શકશે

બાળકોમાં વધતી જંકફૂડની પસંદ અને તેના કારણે વધતી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પર અંકુશ મુકવા માટે શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ‘લંચબોક્સમાં નો જંકફૂડ’ કેમ્પેઇન શરૂ કરાશે. આ કેમ્પેઇનમાં શહેરની 1500થી વધુ સ્કૂલોના 2 લાખ જેટલા વિદ્યાર્થીઓને સાંકળી લેવાશે. વાલીઓને સગવડતા માટે બાળકોને જે ખોરાક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે તેના વિશે પણ માહિતી અપાશે, આ માટે અમદાવાદ શહેરના ડાયટેશિયન અને બાળકોના ડોક્ટરોની પણ મદદ લેવાશે. વાલીઓને ઓનલાઇન માર્ગદર્શન માટે ખાસ વ્યવસ્થા કરાશે. જેથી વાલીઓને પણ યોગ્ય માર્ગદર્શન મળી રહે. બાળકોમાં ખાન-પાનની ટેવો સુધારવા માટે સ્કૂલો દ્વારા યોગ્ય કામગીરી કરવી જરૂરી છે, પરંતુ હાલમાં મોટા ભાગની સ્કૂલોમાં માત્ર પેક્ડ ફૂડ પર જ પ્રતિબંધ લગાવાયો છે. જ્યારે જંકફૂડ પર કોઇ પ્રતિબંધ લગાવાયો નથી. આ સ્થિતિમાં સ્કૂલોએ પેક્ડ ફૂડની સાથે જંકફૂડ પર લાવવા પર પણ કડક કાર્યવાહી કરવી પડશે. જો બાળકોને જંકફૂડથી દુર રાખવા હશે તો સ્કૂલ સંચાલકોએ સક્રિય ભાગીદારી કરવી પડશે. 50% બાળકો અઠવાડિયામાં 3-4 વાર જંકફૂડ ખાય છેઇન્ટરનેશનલ જર્નલ ઑફ સાયન્ટિફિક રિસર્ચ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, અમદાવાદમાં 10-15 વર્ષના શાળાએ જતા બાળકો અઠવાડિયામાં 3થી 4 વાર ચિપ્સ, સમોસા, ફ્રેચ ફ્રાય જેવા જંકફૂડ આરોગે છે. આ અભ્યાસ 2562 વિદ્યાર્થીઓ વચ્ચે 50થી વધુ સ્કૂલમાં કરવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થીઓમાં મેદસ્વિતાનું પ્રમાણ પણ વધુ જોવા મળ્યું હતું. ભાસ્કર નોલેજસ્કૂલોના સહકારથી બાળકોની હેલ્થને સુધારી શકાશેફાસ્ટ ફૂડથી શું નુકસાન થાય છે તે બાબતો પણ બાળકો અને વાલીને સમજાવવી પડશે. ત્યારે જ વાલીઓ જાગ્રૃત થશે. બાળકોના હેલ્થ સાથેનો મુદ્દો હોવાથી દરેક સ્કૂલોનો સાથ લેવાશે. સ્કૂલો જ્યાં મૂંજવણ અનુભવશે ત્યાં અમે સાથે રહીશું. આ માટે અમે ડોક્ટર અને ડાયટેશીયનની એક્સપર્ટ ટીમની પણ મદદ લઇશું. જેથી વાલીઓને સરળતાથી દરેક રેસિપી પણ મળી રહેશે. જેથી બાળકોને ક્યો ખોરાક આપવો અને ક્યો ખારોક ન આપવો તેની પણ માહિતી મળશે. - રોહિત ચૌધરી, ડીઇઓ, અમદાવાદ શહેર

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:22 am

સેવાકાર્ય:ભજન સંધ્યા થકી નાયક મહિલા મંડળે રૂ.4 લાખ એકત્રિત કર્યા

દિનેશ હોલમાં નાયક સમાજની મહિલાઓનો સન્માન સમારોહ યોજાયો, જેમાં નાયક ભોજક સંસ્થાના મહિલા વિકાસ મંડળે 2 મહિનામાં ભજન સંધ્યા યોજીને 4 લાખનું દાન એકત્રિત કર્યું હતું. આ તમામ દાન મહિલાના ગૃહઉદ્યોગ, સ્વરોજગાર અને શિક્ષણ માટે ઉપયોગમાં લેવામાં આવશે. મોટી સંખ્યામાં નાયક ભોજક સમાજના લોકો હાજર રહ્યા હતા. નાણાંનો ક્યાં ઉપયોગ કરાશે?રૂ.4 લાખનું ફંડ એકત્ર કરાયેલા ફંડને મહિલા ગૃહ ઉદ્યોગ, આર્થિક સશક્તિકરણ તથા શિક્ષણલક્ષી પ્રવૃત્તિમાં વપરાશે. આગામી સમયમાં વધુ ભજન સંધ્યા યોજીને સમાજને મદદ કરવામાં આવશે. સામાજિક કાર્યકર્તા પ્રિયંકા નાયક, રાગિણીબેન તથા ઉષ્માબેન સહિત સમાજના અગ્રણી દ્વારા આયોજન કરાયું હતું.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:19 am

જહાજ મંદિર સામૂહિક આરાધનામાં રાજ્યભરના જૈનો જોડાયા:એન્કરવાલા ધામે 200થી વધુ શ્રાવક-શ્રાવિકાએ સામૂહિક અઠ્ઠમ તપ કર્યાં

શંખેશ્વર તીર્થના પવિત્ર જહાજ મંદિર એન્કરવાલા ધામમાં ત્રિદિવસીય સામૂહિક અઠ્ઠમ તપની ભાવભરી આરાધના યોજાઈ હતી. રાજ્યભરના 200થી વધુ શ્રાવક-શ્રાવિકાએ ઉપવાસ, ભક્તિ અને સાધના માર્ગે આત્મશુદ્ધિનો અનુભવ કર્યો. આ પ્રસંગે મુનિરાજશ્રી નયશેખર મ.સા.એ જણાવ્યું કે, ‘શંખેશ્વર તીર્થે સદગુરુઓના સમાગમમાં કરેલા અઠ્ઠમ તપનું આધ્યાત્મિક મહત્ત્વ અનન્ય છે. પાર્શ્વનાથ પ્રભુની આરાધનાથી મન શુદ્ધિ, ધ્યાનમાં એકાગ્રતા અને શુભ ભાવની વૃદ્ધિ થાય છે. આ સામૂહિક અઠ્ઠમ તપના દાતા આ.સૌ.મીતાબેન રમેશભાઈ ગોગરીએ લાભ લીધો. ત્રણ દિવસ ચાલેલી વિશેષ આરાધનાઅઠ્ઠમ તપ દરમિયાન મહાપૂજન, અષ્ટપ્રકારી પૂજા, પરમાત્માની આંગી, જીવદયા, અનુકંપાદાન, સવાર-સાંજ આરતી, મંગળ દીવો તેમજ રાત્રિભક્તિના કાર્યક્રમો યોજાયા. ભક્તિગીતોની મધુર રમઝટે સમગ્ર પરિસર ભક્તિભાવથી ગુંજાયું. પાર્શ્વનાથ પ્રભુના મહિમાનો ઉલ્લેખમુનિરાજશ્રીએ પાર્શ્વનાથ પ્રભુના જીવન પ્રસંગો અને શંખેશ્વર તીર્થના પ્રભાવનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, શ્રીકૃષ્ણ મહારાજે અઠ્ઠમ તપ દ્વારા ભગવતી શ્રી પદ્માવતી દેવીને પ્રસન્ન કરી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ પ્રાપ્ત કરી હતી, જેના પુણ્યપ્રભાવથી પોતાના સૈન્યને મૃત્યુમાંથી બચાવ્યું હતું. સાધુ-સાધ્વીજીઓની પાવન નિશ્રા મૌનવરિષ્ઠ પ.પૂ. મુનિરાજશ્રી પુણ્યરત્ન મહારાજ સાહેબ, પ.પૂ. મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબ તથા પ.પૂ. સાધ્વીશ્રી સુનંદિતાશ્રીજી મ.સા., પ.પૂ. સાધ્વીશ્રી ભયભંજનાશ્રીજી મ.સા. આદિની પાવન નિશ્રામાં સામુહિક અઠ્ઠમ તપની પૂર્ણાહુતિ કરવામાં આવી.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:18 am

કર્મીઓને ફરજ બજાવતા અટકાવીને પકડેલા ઢોરોને ભગાડી મુક્યા હતા:પાલિકાની ટીમ પર હુમલો કરનાર ચાર શખ્સોનું ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન કરાયું

પાટણ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ડામવા ગયેલી નગરપાલિકાની ટીમ પર હુમલો કરનારા તત્ત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. પારેવા સર્કલ પાસે બુધવારે સાંજે બનેલી ઘટનામાં પકડાયેલા ચાર શખ્સોને સાથે રાખીને રવિવારે પોલીસે ઘટનાસ્થળે ક્રાઈમ રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. 24 ડિસેમ્બર, 2025ના રોજ સાંજે 5:15 વાગ્યે પાટણ શહેરના પારેવા સર્કલ પાસે નગરપાલિકાની ટીમ 15 થી 20 જેટલા રખડતા ઢોરોને પકડી પાંજરામાં પૂરવાની કામગીરી કરી રહી હતી.આ દરમિયાન મોટરસાયકલ પર લાકડીઓ અને ધોકા સાથે આવેલા પાંચ શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી હતી. તેમણે કર્મચારીઓને ફરજ બજાવતા અટકાવ્યા અને પકડેલા ઢોરોને ભગાડવા માટે પાંજરાનો દરવાજો ખોલી નાખ્યો હતો. આ શખ્સોએ નગરપાલિકાના કર્મચારીઓને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી સરકારી ફરજમાં રુકાવટ કરી હતી. હુમલાખોરોએ પકડાયેલા ઢોરોને બળજબરીથી છોડાવીને ભગાડી મૂક્યા હતા. એ-ડિવિઝન પીઆઈ કે.જે.ભોયે જણાવ્યું હતું કે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી વિપુલ અમરતભાઈ ભરવાડ, વિષ્ણુ મનોજભાઈ ભરવાડ, રોહિત ઉર્ફે ભાણો માતમભાઈ ભરવાડ અને વેરશી ઉર્ફે ભોપો ખેતાભાઇ ભરવાડની ધરપકડ કરી હતી. રવિવારે આ ચારેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને ગુનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું,

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:15 am

સુરતના મોલમાં બગીચો:મોલમાં 50 હજારથી વધુ છોડનું સ્ટેપ ગાર્ડન બનાવ્યું; તાપમાન પણ ઘટશે, જાપાનથી 20 પ્રજાતિના ફૂલો મંગાવ્યા, જે વર્ષભર ખીલતાં રહે છે

સુરતના સિટીલાઇટમાં ‘આશીર્વાદ હાઇ સ્ટ્રીટ મોલ’ ગુજરાતનો પહેલો મોલ છે જેની છત પર 50 હજારથી વધુ છોડનો ‘સ્ટેપ ગાર્ડન’ છે. આ માટે જાપાનથી 20 પ્રકારના ફૂલો મંગાવવામાંઆવ્યા છે, જે વર્ષમાં 12 મહિના ખીલે છે. 3 મહિનામાં અહીં 4 લાખ વધુ ફૂલો વાવવામાં આવશે. તેની જાળવણી 100 લોકોના સ્ટાફ દ્વારા કરાશે. ટપક સિંચાઈ દ્વારા સિંચાઈ કરાશે. મોલના 4 માળ ખરીદી માટે, 2 માળ ફૂડ અને મનોરંજન માટે છે. આ પ્રોજેક્ટના એમડી ગોપાલભાઈ કહે છે કે 200 લોકોની ટીમ આ પ્રોજેક્ટ પર 6 વર્ષથી કામ કરી રહી છે. મોલની છત પર અને બહાર સ્ટેપ ગાર્ડન બનાવવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:15 am

મંડે પોઝિટીવ:પોલીસે બાળકને ફોટો બતાવીને તો એક ગુમ યુવતીને બહેનપણીના ઘરે શોધી કાઢી

હિરેનવ્યાસમાનવીય સંવેદના અને ટેકનોલોજી આધારિત આયોજનથી પાટણ પોલીસે જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયીનાં કાર્યકાળ દરમિયાન તેમના માર્ગદર્શનથી નાની નાની વિગતો આધારે કડીઓ મેળવી એક વર્ષમાં ગુમ થયેલા 463માંથી 499 લોકોને શોધી પરિવારજનો સાથે મિલન કરાવી વર્ષો જૂના ભૂલાઈ ગયેલા કેસો ઉકેલી દીધા છે.જેમાં 5 વર્ષ જૂના 14, 10 વર્ષ જૂના 6 અને 15 વર્ષ જૂના 4 કેસો શોધ્યા છે, જે છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ છે. પોલીસની કામગીરી વધુ ઝડપી બને તે માટે મિસીંગ સેલના PSI એમ.જે. વાઘેલાએ વિશેષ સોફ્ટવેર અને મોબાઇલ એપ વિકસાવી છે. ગુમ કે અપહરણની ફરિયાદ થતાં જ અધિકારીઓને તાત્કાલિક જાણ થાય છે, જેથી તપાસ ઝડપી બની છે. કિસ્સો-1 : પોલીસે બાળકને ચોકલેટ આપી ગુમ યુવતીનો ફોટો બતાવતા તેની મમ્મી હોવાનું કહ્યું આશરે 11 વર્ષ અગાઉ ગુમ થયેલી યુવતીનો કેસ ફરીથી ખોલી અભ્યાસ કરતાં યુવતીનો પરિવાર હાલ અન્ય જિલ્લામાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.11 વર્ષ પહેલા પાટણમાં જ્યાં રહેતાં ત્યાં લોકોની પૂછપરછ કરતાં મળેલી કડી આધારે પોલીસે એક શકમંદના ઘરે જઈ તપાસ કરી, ત્યાં યુવતી હાજર મળી ન હતી,હાજર વ્યક્તિએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. પરંતુ પોલીસને ઘરમાં એક બાળક દેખાયું.તેને અલગ લઈ ચોકલેટ આપી ગુમ થયેલી યુવતીનો ફોટો બતાવતા બાળકે તે તેની મમ્મી હોવાનું જણાવ્યું. પોલીસ શકમંદના કાકાને વિશ્વાસમાં લઈ યુવતી સુધી પહોંચી તેણે પોતાનું નામ બદલી તે જામનગરની હોવાનું જણાવ્યું,પરંતુ તેની ભાષામાં પાટણની ઝલક દેખાતી હતી.વધુ પૂછપરછ કરતાં તેણે સ્વીકાર્યું કે તે જ 11 વર્ષ પહેલાં ગુમ થયેલી યુવતી છે. અને તે પ્રેમી સાથે લગ્ન કરવા માટે ઘર છોડીને ગઈ હતી. કિસ્સો-2 : પોલીસે વેશ પલટો કરી ઉજ્જૈનથી 14 અને 16 વર્ષની બે કિશોરીઓને શોધી કાઢીગુમ થયેલી 14 અને 16 વર્ષની બે કિશોરીઓનું તેમના જ ગામના બે શખ્સોએ અપહરણ કર્યું હતું.આરોપીઓ ઉજ્જૈન ખાતે હોવાની પોલીસને જાણ થતાં પોલીસ ત્યાં રહી વેશપલટો કરી આરોપીઓ એક હોટલ છોડી બીજી જગ્યાએ જવા માટે નીકળતાં પોલીસે પકડી કિશોરીઓને સલામત રીતે પાટણ લાવી તેમના પરિવારને સોંપી હતી. કિસ્સો-3 : યુવતી ફોન પર હિન્દી ભાષામાં વાત કરતાની લીંક મળતાં પોલીસ કર્ણાટકથી શોધી લાવીઆશરે એક વર્ષ અગાઉ ગુમ થયેલી યુવતીના કેસની તપાસ પોલીસે ફરી શરૂ કરી યુવતીના રહેઠાણ પાસેનાં પાન પાર્લરનાં માલિકને પૂછતાં યુવતી આવતા–જતા હિન્દી ભાષામાં ફોન પર વાત કરતી હતી. તેવી કડી મળી પોલીસે આજુબાજુનાં સોલાર પ્લાન્ટોમાં કામ કરતાં અને યુવતી ગુમ થયા બાદ નોકરી છોડીને ગયેલાં પરપ્રાંતિયો અંગે તપાસ કરતાં એક શંકાસ્પદ શખ્સ પર ધ્યાન કેન્દ્રીત થયું, તે કર્ણાટક અને તમિલનાડુ સરહદનાં એક ગામમાં હોવાની કડી મળી. પોલીસ ત્યાં પહોંચી.બે દિવસ સુધી ત્યાં વેશ પલટો કરી રહી, રેકી ગોઠવી તક મળતાં જ યુવતીને યુવક સાથે ઇરગામપલ્લી, કર્ણાટકથી શોધી કાઢી હતી. કિસ્સો-4 : આયોજનબદ્ધ રીતે ગુમ થયેલી‎યુવતી પોલીસને બહેનપણીના ઘરેથી મળી‎એકાદ વર્ષ પહેલાં ગુમ થયેલી યુવતીની શોધ ફરી ચાલુ કરવામાં આવી‎યુવતીનો મોબાઈલ ફોન અને સીમકાર્ડ ફરી એક્ટિવ થતાં તપાસ કરતાં‎સીમકાર્ડ અન્ય વ્યક્તિનાં નામે રજિસ્ટર હતો અને યુવતીએ ઘર‎છોડ્યા બાદ માત્ર બે દિવસમાં પોતે જ ફોન વેચી દીધા હતા. આથી‎પોલીસને સ્પષ્ટ થયું કે યુવતીએ આયોજનબદ્ધ રીતે ગુમ થવાનો નિર્ણય‎લીધો. પોલીસને તપાસમાં કોઈ ડિજિટલ કે નાણાકીય નિશાની મળી‎નહોતી. યુવતીના જૂના સંપર્કો પર ધ્યાન કેન્દ્રીત કરતાં મિત્રોનો સંપર્ક‎કર્યો યુવતી તેની બહેનપણીના ઘરે હતી અને બાદમાં તેના ભાઈ સાથે‎લગ્ન કરીને પોતાનું જીવન સ્થાપ્યું હતું.‎

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:14 am

સરાહનીય પહેલ:કલાલીના નાગરિકોએ રૂ.4 લાખ ભેગા કર્યા, સ્થાનિક શાળામાં બાળકોને આધુનિક બાળ પુસ્તકાલય બનાવી આપ્યું

બાળકોમાં વાંચનના અભિગમનું સિંચન થાય અને તેમના વિચારોમાં સર્જનાત્મકતા ફેલાય તે માટે કલાલી ગામના નાગરિકો અને દાતાઓએ ભેગા મળીને રૂા.4 લાખના ખર્ચે ગામની લાલજી મહારાજ પ્રાથમિક શાળા ખાતે આધુનિક બાળ પુસ્તકાલય બનાવી આપ્યું છે. આ પુસ્તકાલયનું ઉદઘાટન બીએપીએસ સંસ્થાના સંત જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. બાળકોએ સ્વામીજીના આશિર્વાદ મેળવીને આ પુસ્તકાલયમાં પ્રવેશ કર્યો હતો. કલાલી ગામની લાલજી મહારાજ પ્રાથમિક શાળા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનીશાળા છે. કલાલી અને આસપાસના વિસ્તારોમાંથી બાળકો આ પ્રાથમિક સ્કુલમાં ભણવા માટે આવે છે. આ શાળામાં બાળકો માટે સ્કુલની સાથોસાથ એક પુસ્તકાલય પણ હોવું જોઈએ તેવી ભાવના ગામના નાગરીકોને થઈ હતી. જે વિચાર સ્ફુર્યા બાદ આ વિચારને વહેતો મુકતા શ્રી સર્વમંગલ ટ્રસ્ટ, શાનવી ચેરીટેબલ ટ્રસ્ટ, તેજશભાઈ કનુભાઈ પટેલ, મિલનભાઈ આહીર, પ્રદિપસિંહ વાઘેલા, રાહુલ સ્વામિનારાયણ સહિતના દાતાઓએ રૂા.4 લાખ જેટલી રકમ આપીને આ સ્કુલમાં ભવ્ય અને આધુનિક પુસ્તકાલયનું નિર્માણ કરાવ્યું હતું. ગત 12 ડિસેમ્બરના રોજ સવારે 11 કલાકે જ્ઞાનવત્સલ સ્વામીની ઉપસ્થિતિમાં માં શારદાનું પુજન કર્યા બાદ બાળકોએ આ પુસ્તકાલયમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલા બાળકોએ સ્વામીજીના આશિર્વાદ લીધા હતાં. દાતાઓએ ધનની સાથે પોતાનો સમય આપી લાઈબ્રેરી માટે પુસ્તકો,ફર્નિચર અને ડિઝાઈન પણ પોતે કરીલાઈબ્રેરી માટે દાતાઓએ અને નાગરીકોએ ધનતો આપ્યું પરંતું તેની સાથે કોઈ એજન્સીને લાઈબ્રેરીનો કોન્ટ્રાક્ટ આપવાની જગ્યાએ પોતે જ સમય ફાળવીને જાતે જ બિલ્ડીંગની ડિઝાઈન બનાવડાવી, લાઈબ્રેરી અંદરથી કેવી દેખાશે તેનું આર્કિટેક્ચર બનાવ્યું, જાતે જ ફર્નિચરની ખરીદી કરી અને પુસ્તકાલયમાં કઈ કઈ પુસ્તકો રાખવી તેની પસંદગી પણ કરી હતી.દેશના તમામ બાળકો ખુબ જ શિક્ષિત બને તેેવો સંકલ્પ કર્યો. આ પ્રસંગે જ્ઞાનવત્સલ સ્વામીએ સ્કુલની મુલાકાતી ડાયરીમાં લખ્યું હતું કે,વડોદરા સ્થિત કલાલીની પ્રાથમિક શાળાના પુસ્તકાલયના ઉદઘાટન સમારોહમાં સંકલ્પ કર્યો છે કે, ભારત દેશના તમામ બાળકો ખુબજ શિક્ષિત બને તેમજ સંસ્કારી થાય. જેથી ભારત વિકસીત અને વિશ્વગુરૂ બને.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:13 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:કોંગ્રેસ સાંસદે કહ્યું, 'RSS-અલ કાયદા એકસરખા'; PAK નેતા બોલ્યા, 'મોદી મુનીરથી ડરે છે'; વડોદરાના MLAને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર કોંગ્રેસના નેતા મણિકમ ટાગોરનું એ નિવદન રહ્યું, જેમાં તેમણે RSSની સરખામણી અલ કાયદા સાથે કરી. બીજા મોટા સમાચાર રેપિસ્ટ કુલદીપ સેંગર સંબંધિત રહ્યા, જેના સમર્થનમાં પોસ્ટર લહેરાવવામાં આવ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર કાલના મોટા સમાચારો 1. RSSના વખાણ માટે દિગ્વિજય સિંહ પર રાહુલનો કટાક્ષ:બોલ્યા- તમે ખોટું કર્યું; પૂર્વ CMએ જમીન પર બેઠેલા મોદીની તસવીર શેર કરી હતી લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ રવિવારે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને RSS અને ભાજપની પ્રશંસા કરવા બદલ કટાક્ષ કર્યો. દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યાલય 'ઇન્દિરા ભવન'માં પાર્ટીના સ્થાપના દિવસ કાર્યક્રમ દરમિયાન બંને નેતાઓ આમનેસામને આવ્યા. NDTVના અહેવાલ મુજબ, દિગ્વિજય સિંહ સાથે હાથ મિલાવતી વખતે રાહુલ ગાંધીએ તેમને મજાકીયા અંદાજમાં કહ્યું, 'કાલે તમે અયોગ્ય વર્તન કર્યું.' આ સાંભળીને આસપાસ હાજર નેતાઓ હસી પડ્યા. ત્યાં સોનિયા ગાંધી પણ હાજર હતા. તેઓ પણ હસવા લાગ્યા. પછી રાહુલ અને દિગ્વિજય વચ્ચે થોડીવાર વાતચીત થઈ. વાસ્તવમાં, દિગ્વિજય સિંહે 27 ડિસેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક જૂની તસવીર શેર કરીને RSS અને BJPના સંગઠનાત્મક માળખાની પ્રશંસા કરી હતી. તસવીરમાં નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી દેખાઈ રહ્યા છે. પોતાની પોસ્ટમાં દિગ્વિજય સિંહે લખ્યું હતું- આ ખૂબ જ પ્રભાવશાળી તસવીર છે. કેવી રીતે RSSનો જમીની સ્વયંસેવક અને ભાજપનો કાર્યકર્તા નેતાઓના ચરણોમાં ફ્લોર પર બેસીને પ્રદેશનો મુખ્યમંત્રી અને દેશનો વડાપ્રધાન બન્યો. આ સંગઠનની તાકાત દર્શાવે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. ઝરદારીએ કહ્યું- પાકિસ્તાન ફરી યુદ્ધ માટે તૈયાર:મે મહિનામાં ભારતને સમજાવ્યું કે યુદ્ધ બાળકોનો ખેલ નથી; બિલાવલે કહ્યું- મોદી મુનીરથી ડરે છે Sj8AAAA%3Dપાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ શનિવારે જણાવ્યું હતું કે મે મહિનામાં થયેલા યુદ્ધ દરમિયાન પાકિસ્તાને ભારતના આક્રમણનો મજબૂતીથી જવાબ આપ્યો હતો. આ પછી ભારત સરકારને સમજાયું કે યુદ્ધ 'બાળકોનો ખેલ' નથી. ઝરદારી શનિવારે પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની પુણ્યતિથિ નિમિત્તે કરાચીમાં એક રેલીમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારતે પાકિસ્તાનના સંયમ માટે આભારી હોવું જોઈએ, કારણ કે જો પાકિસ્તાન ઈચ્છત તો વધુ ભારતીય ફાઈટર પ્લેનને તોડી શકતું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો 3. ઉન્નાવ રેપ પીડિતા અને કુલદીપ સેંગરના સમર્થકો વચ્ચે ઝપાઝપી:દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરી રહ્યા હતા, પીડિતા બોલી- સાક્ષીઓની સુરક્ષા હટાવી દેવામાં આવી ઉન્નાવ રેપ કેસમાં પૂર્વ ભાજપ ધારાસભ્ય કુલદીપ સેંગરની સજા સસ્પેન્ડ થવાના વિરોધમાં જંતર-મંતર પર ચાલી રહેલા પ્રદર્શનમાં હોબાળો થયો. સેંગરના સમર્થનમાં પુરુષ આયોગ નામના સંગઠનના લોકો રવિવારે જંતર-મંતર પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. તેમના હાથમાં 'આઈ સપોર્ટ કુલદીપ સેંગર'નું બેનર હતું. પીડિતાના પક્ષમાં પ્રદર્શન કરી રહેલી યોગિતા ભયાનાએ વિરોધ કર્યો તો બંને પક્ષો વચ્ચે જોરદાર સૂત્રોચ્ચાર અને ઝપાઝપી થઈ. પ્રદર્શનમાં સામેલ રેપ પીડિતાએ કહ્યું કે અમારા પારિવારિક સભ્યો અને સાક્ષીઓની સુરક્ષા હટાવી દેવામાં આવી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. દાવો- હાદીના હત્યારાઓ મેઘાલય બોર્ડરના રસ્તે ભારત ભાગી ગયા:બાંગ્લાદેશ પોલીસે કહ્યું- સ્થાનિક સહયોગીઓની મદદથી સરહદ પાર કરી ગયા; આરોપીઓની ધરપકડ થશે ભારત અને શેખ હસીના વિરોધી બાંગ્લાદેશી નેતા ઉસ્માન હાદીની હત્યાના કેસમાં બે મુખ્ય શંકાસ્પદ ભારતમાં છુપાયેલા છે. બાંગ્લાદેશી મીડિયા ધ ડેઇલી સ્ટાર અનુસાર, હાદીના હત્યારાઓ મેઘાલય બોર્ડરના રસ્તે ભારત ભાગી ગયા. ઢાકા મેટ્રોપોલિટન પોલીસ (DMP) એ ડેઇલી સ્ટારને આ માહિતી આપી. પોલીસ કમિશનર એસએન નઝરુલ ઇસ્લામે મીડિયાને જણાવ્યું કે શંકાસ્પદ ફૈસલ કરીમ મસૂદ અને આલમગીર શેખ મયમનસિંહ જિલ્લાના હલુઆઘાટ બોર્ડરના રસ્તે ભારતના મેઘાલય રાજ્યમાં ઘૂસી ગયા. સંપૂર્ણ સમાચાર વાંચો 5. લંડનમાં ભારતીયોના વિરોધ પ્રદર્શનમાં ખાલિસ્તાનીઓનો હોબાળો:ભારત વિરોધી નારા લગાવ્યા, ઝંડા લહેરાવ્યા; ભારતીયો બાંગ્લાદેશી હિન્દુઓના રક્ષણની માંગ કરી રહ્યા હતા લંડન ખાતે બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર હિન્દુ સમુદાયના એક પ્રદર્શનમાં ખાલિસ્તાની સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. ભારતીય અને બાંગ્લાદેશી હિન્દુઓ બાંગ્લાદેશમાં વધી રહેલા હિન્દુઓના મૃત્યુ અને હિંસા સંબંધિત મામલાઓને લઈને 27 ડિસેમ્બરે પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન ‘શીખ ફોર જસ્ટિસ’ સંગઠન SFJ સાથે સંકળાયેલા ખાલિસ્તાની કાર્યકરોએ ત્યાં આવીને ભારત વિરોધી નારા લગાવ્યા અને ખાલિસ્તાની ઝંડા લહેરાવ્યા. સંપૂર્ણ સમાચાર વાંચો 6. વડોદરાના ધારાસભ્યને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ:કોલ આવ્યો-મુંબઈથી બોલું છું, નોટિસ મોકલી છે; યોગેશ પટેલે કહ્યું 'તું જે સ્કૂલમાં ભણ્યો છે, એનો પ્રિન્સિપાલ રહ્યો છું' વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરતા સાયબર ઠગોના કોલથી ચકચાર મચી જવા પામી છે. ધારાસભ્યને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો કે, 'હું મુંબઈમાંથી બોલું છું, તમને નોટિસ મોકલી છે.' આ કોલથી શંકા જતા યોગેશ પટેલે તરત જ પોલીસ કમિશનર તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. યોગેશ પટેલે જણાવ્યું હતું કે, કોલ કરનારને તેમણે કહ્યું, 'તું જે સ્કૂલમાં ભણ્યો છે, એનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું', જે સાંભળતાં જ સામેથી તરત ફોન કાપી નાખવામાં આવ્યો હતો. આ ઘટનાથી સાયબર ઠગોની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જેમાં તેઓ ડિજિટલ એરેસ્ટના નામે લોકોને ડરાવીને છેતરપિંડી આચરે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. અમદાવાદમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજનું મહાસંમેલન:ચાર મંત્રીઓનું સન્માન,આગામી સમયમાં શૈક્ષણિક હેતુ માટે 100 કરોડ એકત્ર કરવાનો નિર્ણય સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ, અમદાવાદ દ્વારા નિકોલમાં યોજાયેલા મહાસંમેલનમાં લેઉવા પટેલ સમાજના ચાર મંત્રીઓનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ સમાજના વિવિધ ક્ષેત્રે લેઉવા પટેલ સમાજના પ્રદાનને યાદ કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, હું આજે આપના આશીર્વાદ લેવા આવ્યો છે. સાથે પાટીદાર સમાજને અપીલ કરી હતી કે, સમાજના જે દીકરા-દીકરીઓએ તેમના માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય તેઓને સમાજમાં એક રૂપિયાનું પણ ફંડ નહીં લેવાનો અને સ્ટેજ પર નહીં બેસાડવાનો નિર્ણય કરવામાં આવે. સંપૂર્ણ સમાચાર વાંચો આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ મન કી બાતનો 129મો એપિસોડ, PMએ 2025ની સિદ્ધિઓ ગણાવી:મોદીએ કહ્યું- ઓપરેશન સિંદૂર દેશનું ગૌરવ બન્યું, હવે નવી આશાઓ સાથે આગળ વધવા માટે તૈયાર (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. વિદેશઃ પાકિસ્તાને કહ્યું-નૂરખાન એરબેઝ પર ભારતે 80 ડ્રોન હુમલા કર્યા હતા:તેમાં ઘણા સૈનિકો ઘાયલ થયા હતા; ઓપરેશન સિંદૂરમાં ભારતે 11 એરબેઝ ઉડાવી દીધા હતા (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ શિવરાજે કહ્યું-દરેકે એક દક્ષિણ ભારતીય ભાષા શીખવી જોઈએ:હું પણ એક શીખી રહ્યો છું; તેનાથી રાષ્ટ્રીય એકતા મજબૂત થશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. વિદેશઃ અમેરિકામાં નવા વર્ષ પહેલા બરફનું તોફાન, હજારો ફ્લાઇટ્સ રદ:3 વર્ષની સૌથી ભારે હિમવર્ષા, એરપોર્ટ પર મુસાફરો ફસાયા; એરલાઇન્સે મફતમાં ટિકિટ બદલવાની છૂટ આપી (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. બિઝનેસઃ અદાણી ગ્રુપ ડિફેન્સ સેક્ટરમાં ₹1.8 લાખ કરોડનું રોકાણ કરશે:2026માં AI-પાવર્ડ ડ્રોન, મિસાઈલ બનાવવા પર ફોકસ; ઓપરેશન સિંદૂરમાં પ્રોડક્ટ્સનો ઉપયોગ થઈ ચુક્યો છે (સંપૂર્મ સમાચાર વાંચો) 6. ટેક ઓટોઃ ChatGPTનો માલિક AIના જોખમો રોકવા માટે નોકરીએ રાખશે!:'હેડ ઓફ પ્રિપેરડનેસ'ના પદ પર ભરતી; સેમ ઓલ્ટમેન બોલ્યો- AI-પાવર્ડ હથિયારોથી જોખમ વધ્યું (સંપૂર્ણ સમાચાર વાંચો) ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ રાજસ્થાનમાં એક યુવકના પેટમાંથી 7 ટૂથબ્રશ અને 2 ઓજાર મળી આવ્યા રાજસ્થાનના જયપુરમાં, એક યુવાનના પેટની સર્જરી કરાવીને બે લોખંડના પાના અને સાત ટૂથબ્રશ કાઢવામાં આવ્યા. આ સર્જરી બે કલાકથી વધુ ચાલી. ડોક્ટરોનું કહેવું છે કે તે યુવાન માનસિક રીતે બીમાર હતો, જેના કારણે તેણે આ વસ્તુઓ ગળી લીધી. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. નોકરિયાતો માટે આનંદો, આવતા વર્ષે 15 લોંગ વીકેન્ડ:જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન 50 દિવસની રજા મળશે, 2026નું સંપૂર્ણ હૉલીડે કેલેન્ડર 2. સોનામાં આ વર્ષે 1 લાખ પર 80 હજારનો નફો:2026માં ગોલ્ડ, શેર, પ્રોપર્ટીમાં 15% સુધી રિટર્નની આશા; આ વર્ષે ક્યાં કરવું રોકાણ? 3. આમાંથી કોઇ દવા તમારા ઘરમાં તો નથી ને?:બીપી, ડાયાબિટીસ જેવી ઘણી બીમારીની શંકાસ્પદ મેડિસિન ઝડપાઇ, ગુજરાત સહિત દેશના કેમિસ્ટ્સને એલર્ટ કરાયા 4. પતિ સાથે ચિતા પર ચડેલી ભારતની છેલ્લી સતી:18 વર્ષની રૂપ કંવર સતી થઈ કે લોકોએ સળગાવી મારી? ચીસો પાડતી સળગતી રૂપ પર સૌ ઘી-લાકડાં ફેંકતા રહ્યા 5. આજનું એક્સપ્લેનર:3 કરોડ માટે પિતાને સાપ પાસે કરડાવ્યા, મૃત લોકોને જીવતા બતાવ્યા; કેવી રીતે થાય છે લાઈફ ઇન્શ્યોરન્સનું ફ્રોડ? 6. ‘પ્રેગ્નન્ટ પત્નીને પેટમાં રોડ, માથા પર કુહાડી મારી’:લગ્નના છ મહિના પછી હત્યા, પતિએ કહ્યું- હું દલિત છું એટલે સસરાએ જીવ લીધો 7. સન્ડે જઝબાત:દોસ્તની પ્રેમિકા પ્રેગ્નન્ટ થઈ, રેપનો આરોપ મારા પર લાગ્યો:પંચાયતે 6 લાખમાં સોદો કર્યો, 5 વર્ષ જેલમાં રહ્યો, હવે નિર્દોષ છૂટ્યો કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: વૃષભ જાતકોને ઘરમાં માંગલિક કાર્ય સંબંધિત યોજના બની શકે છે;સિંહ જાતકોને ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 5:00 am

વાત ગામ ગામની:પરંપરા,સંસ્કૃતિ અને વિકાસનું સંગમ ઐતિહાસિક જગાણા ગામ‎

પાલનપુર તાલુકામાં અમદાવાદ હાઈવે પર આવેલું જગાણા ગામ તેના સમૃદ્ધ ઇતિહાસ, ધાર્મિક પરંપરા અને સતત વિકાસ માટે જાણીતું છે. પાલનપુર શહેરથી 5 કિલોમીટર અંતરે આવેલું આ ગામ પ્રાચીન સમયથી વસેલું હોવાનું લોકમાન્યતાઓ અને ઇતિહાસિક સંદર્ભોમાં મળે છે. કહેવાય છે કે જગાણા ગામની સ્થાપના પરમાર વંશના જગદેવરાવ પરમારે કરી હતી. પરંપરા, સંસ્કૃતિ અને વિકાસના સંગમ પાલનપુર તાલુકાના ઐતિહાસિક જગાણા ગામની સ્થાપના આશરે મધ્યયુગીન કાળમાં, એટલે કે 13મી–14મી સદી દરમિયાન થઈ હોવાનું અનુમાન છે. પાલનપુરના સ્થાપક પલપરમારના ભાઈ જગદેવરાવ પરમારે કરી હતી. આ કારણે જગાણા અને પાલનપુર બંને સ્થળોનો ઇતિહાસ પરસ્પર જોડાયેલો હોવાનું માનવામાં આવે છે.પ્રારંભિક સમયમાં જગાણા ગામ મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત અર્થવ્યવસ્થા ધરાવતું હતું. સમય જતાં ગામે સામાજિક અને આર્થિક ક્ષેત્રે ધીમે ધીમે પ્રગતિ કરી. ગામમાં વિવિધ જાતિ અને સમુદાયના લોકો પરસ્પર સુમેળથી રહેતા આવ્યા છે, જે ગામની સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. પરંપરાગત તહેવારો, મેળાઓ અને લોકસંસ્કૃતિ આજે પણ ગામના જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. જગાણા ગામ ધાર્મિક દ્રષ્ટિએ પણ વિશેષ મહત્વ ધરાવે છે. ધાર્મિક સ્થળો લોકોની આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર છે. વર્ષ દરમિયાન યોજાતા નવરાત્રિ, મહાશિવરાત્રી અને અન્ય ઉત્સવો દરમિયાન ગામમાં વિશેષ રોનક જોવા મળે છે. આ ઉત્સવો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક એકતા અને સંસ્કૃતિને મજબૂત બનાવવાનું કાર્ય પણ કરે છે. આજનું જગાણા ગામ ગૌરવભર્યા ઇતિહાસ અને આધુનિક વિકાસનું સુંદર સંમિશ્રણ છે. પરંપરાને સાચવી રાખતાં વિકાસની દિશામાં આગળ વધતું જગાણા ગામ પાલનપુર તાલુકાની ઓળખ અને ગર્વ બની રહ્યું છે. આઝાદી બાદ જગાણા ગામે વિકાસની નવી ગતિ આઝાદી બાદ જગાણા ગામે વિકાસની નવી ગતિ પકડી છે. માર્ગ વ્યવસ્થા, વીજળી, પીવાનું પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે. રાજ્ય માર્ગ સાથે જોડાણ થવાથી પાલનપુર શહેર અને આસપાસના વિસ્તારો સાથે આવન-જાવન સરળ બન્યું છે, જેના કારણે વેપાર અને રોજગારીની તકોમાં વધારો થયો છે. શિક્ષણ ક્ષેત્રે પણ ગામ આગળ વધી રહ્યું છે અને આજના યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવી વિવિધ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે.હાલમાં ગામની ચારે તરફ ઔદ્યોગિક વિકાસ પણ થઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:53 am

મંડે પોઝિટીવ:એકલતામાં જીવતા 500 લોકો માટે ‘સમય’ બની પહોંચી આ મહિલા

આજના દોડધામભર્યા જીવનમાં, જ્યાં પોતાના સ્વજનો માટે પણ સમય કાઢવો મુશ્કેલ બની ગયો છે, ત્યાં રાજકોટના હિમાબેન શાહ (ઉ. 55) એ માનવતાને જીવંત રાખી છે. ન કોઈ વળતર, ન કોઈ પ્રસિદ્ધિ માત્ર એક સંવેદનશીલ હૃદય અને સમયની નિઃસ્વાર્થ સેવા. પથારીવશ રહી ગયેલા લોકો, એકલતા સાથે સંઘર્ષ કરતા વૃદ્ધો અને લાંબી બીમારીથી થાકેલા મનને તેઓ પોતાનો સમય આપી ફરી જીવવાનો સાથ આપે છે. આ સેવા કોઈ સંસ્થા કે અભિયાનથી શરૂ નથી થઈ, પરંતુ દુઃખમાંથી જન્મી છે. આજથી 12 વર્ષ પહેલાં દિવાળીના દિવસે જોધપુર જતાં આબુ રોડ પાસે ગંભીર અકસ્માત થયો. અનેક ઓપરેશન, લાંબી સારવાર અને આઠ મહિનાના પથારીમાં જ કાઢવા પડયા. આ દરમિયાન પરિવારનો સહકાર મળ્યો, સારવાર મળી, પરંતુ એક જ જગ્યાએ પડી રહીને પસાર થયેલા દિવસોએ એક એવી ખોટ ઊભી કરી તે હતી એકલતા. આ અંગે હિમાબેન કહે છે, “આ સમયગાળામાં જ્યારે કોઈ નવી વ્યક્તિ આવતી, ત્યારે જાણે જીવનમાં થોડી રોશની આવી જતી”. આજ એક અનુભવે તેમની જીવનદિશા બદલી નાંખી. જે એકલતા તેમણે અનુભવી એ કોઈ બીજું ન ભોગવે એ સંકલ્પથી ‘સમયની સેવા’ શરૂ થઈ. શરૂઆત ઘરની આસપાસ, શેરી અને ઉપાશ્રયમાંથી થઈ. પછી વોટ્સએપ પર એક મેસેજ ફરતો કર્યો: લાંબી બીમારી, પથારીવશ કે એકલવાયા વૃદ્ધો સાથે વાતચીત કરીને સમય આપવામાંઆવે છે. આજ સુધીમાં 500થી વધુ લોકોના જીવનમાં હિમાબેન ‘સમય’ બનીને પહોંચ્યા છે. ક્યાંક એક-બે દિવસ, તો ક્યાંક સતત 15–20 દિવસ સુધી. શાપરમાં ફેક્ટરી અને ઘરે કિચન વેરનો વ્યવસાય હોવા છતાં, કોઈનો ફોન આવે એટલે તમામ કામ બાજુએ રાખીને તેઓ તરત પહોંચે છે. હિમાબેન માને છે, “બીમારી કે એકલતામાં માણસને સલાહ કે દયા નહીં માત્ર સાંભળવાની જરૂર હોય છે. પહેલા તેમને બોલવા દેવા, મન હળવું થવા દેવું. જ્યારે વડીલ ખૂબ બીમાર હોય, ત્યારે ધર્મની વાતો કરીને મનને શાંતિ આપવી આ તેમનો સહજ અભિગમ છે. તેઓ મારા સાસુ પાસે નિયમિત 5 મહિનાથી વધુ આવ્યાતેઓ સહાયભાવથી પરિપૂર્ણ અને અત્યંત નિષ્કામ સેવાભાવી છે. મારા સાસુ 99 વર્ષની ઉંમરે શારીરિક રીતે નબળા પડ્યા હતા. તે સમયે હિમાબેન નિયમિત રીતે પાંચ મહિનાથી વધુ સમય સુધી દરરોજ દોઢ કલાક અમારા ઘરે આવી શ્રદ્ધાપૂર્વક પ્રાર્થનાઓ અને સ્તુતિઓ સંભળાવતા. > રશ્મિ અનિલભાઈ દેસાઇ માથે હાથ રાખી ભગવાનના નામ અને પાઠ સંભળાવ્યાથોડા સમય પહેલાં મારી પત્નીને બ્રેસ્ટ કેન્સર આવ્યું હતું ત્યારબાદ તેની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા આ સમય દરમિયાન હિમાબેનનો સંપર્ક થયો. તેઓ દરરોજ તેમની પાસે આવીને બેસે, માથે હાથ રાખી ભગવાનના નામ અને પાઠ સંભળાવે. મારા પત્ની 14 દિવસ હોસ્પિટલમાં રહ્યા અને હિમાબેન સમય કાઢીને દરરોજ આવી જ જતા. મારા પત્ની બેભાન હાલતમાં હતા પણ વચ્ચે વચ્ચે ભાનમાં આવતા ત્યારે પૂછ્યું તો કહ્યું કે, તે એકદમ શાંતિ અનુભવે છે.> નલીનભાઈ પોપટ ‘સમયની સેવા’ માટે ધીરજ જોઈએ “પહેલાના સમયમાં કોઈ બીમાર પડે તો લોકો પૂછપરછ કરવા આવતાં, સમય આપતાં. આજે સમય જ ખૂટે છે.આ સેવામાં ક્યારેય ખરાબ અનુભવ થયો નથી, પરંતુ ક્યારેક ડર પણ લાગે છે. ઘણી વખત વૃદ્ધો વાત કરતા કરતા એક જ વાત પર કલાકો અટકી જાય. એક વડીલ છ કલાક સુધી એક જ વાત કહેતા રહ્યા એ ક્ષણે ઘડપણની લાચારી સમજાઈ. એમને સમય આપવો એ જ સૌથી મોટી સેવા છે > હિમાબેન શાહ

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:53 am

કાર્યવાહી:છાપી હાઇવે પર ગોગો પેપરકીટનું‎વેચાણ કરતા શખ્સની અટકાયત‎

બનાસકાંઠા જિલ્લામાં પ્રતિબંધિત અને હાનિકારક ચીજવસ્તુઓના વેચાણ સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત વડગામ તાલુકાના છાપી હાઇવે પર શનિવારે એક પાન પાર્લર પર દરોડો પાડવામાં આવ્યો હતો. છાપી પોલીસ મથકની ટીમે બાતમીના આધારે રાહત પાન પાર્લરની તપાસ કરતા ત્યાંથી પ્રતિબંધિત ગોગો કોન સ્ટીક અને ગોગો પેપર મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં ગોગો કોન સ્ટીક નંગ 114 અને ગોગો પેપર નંગ 48 મળી કુલ રૂ. 1,620નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ મામલે પાર્લર માલિક ઇકબાલ બચુભાઈ સમેઝા (રહે. માહી, તાલુકો વડગામ)ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ એસઓજી ટીમે પણ શનિવારે છાપીમાં તપાસ કરી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ અંગે કાર્યવાહી કરી હતી. બાતમી આધારે પરેશ વિનોદભાઈ પટણીના રહેણાંક મકાનમાંથી દોરીની ફીરકી નંગ 4 તેમજ રાહુલ મુકેશભાઈ રાવળના ઘરેથી ચાર ફીરકી જપ્ત કરી બંને સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:52 am

પરિપત્ર પાછો ખેંચાતા GST ટ્રિબ્યુનલમાંથી કરદાતાને રાહત:તમામ વર્ષની અપીલ હવે 28 ફેબ્રુઆરી સુધી ફાઈલ કરી શકાશે

સરકારે તાજેતરમાં 21 જાન્યુઆરી 2026થી જીએસટી ટ્રીબ્યુનલ શરૂ થવાની જાહેરાત કર્યા બાદ કરદાતાને મોટી રાહત થઈ છે. 8 વર્ષથી પેન્ડિંગ પડેલી અપીલોના ભારને ઘટાડવા બહાર પાડેલા પરિપત્રથી કરદાતા મુશ્કેલીમાં મુકાયા હતા, જે હવે પરત લેવાતા મોટી રાહત મળી છે. પેન્ડિંગ અપીલોના લોડને નિયંત્રિત કરવા માટે અલગ-અલગ સમયગાળા માટે અલગ તારીખોનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. કોઈ કરદાતાને 2025નો ઓર્ડર મળ્યો હોય તો તે 1 જાન્યુઆરી 2026 પછી અપીલ ફાઇલ કરી શકતો હતો. આ વ્યવસ્થાથી વિભાગીય રિકવરીનો સામનો કરવો પડી રહ્યો હતો, અપીલ ફાઇલ કરવાની મંજૂરી ન હોવા છતાં કર વસૂલાતની કાર્યવાહી થતી હતી. પ્રક્રિયા ઓનલાઇન થવાથી પારદર્શિતા વધશેકરદાતાને કાનૂની સુરક્ષા મળશે અને તેઓ બિનજરૂરી વસૂલાતથી બચી શકશે. સાથે જ, અપીલ પ્રક્રિયા ઓનલાઈન કરવાથી પારદર્શિતા વધશે. - આશિષ ખંધાર, સીએ

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:47 am

વેપારી મહાસંગઠનના પ્રમુખે CMને પત્ર લખ્યો:કૂપન નહીં તો કસ્ટમર નહીં! ગિફ્ટ સ્કીમ ન હોવાથી શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો

રાજ્ય સરકાર અને મ્યુનિ. દ્વારા આયોજિત શોપિંગ ફેસ્ટિવલનો સતત બીજા વર્ષે ફિયાસ્કો થયો છે. સરકારની મોટી મોટી જાહેરાતો વખતે વેપારીઓ અને ગ્રાહકોમાં જે ઉત્સાહ હતો તે દેખાતો નથી. ગિફ્ટ કૂપન જેવી આકર્ષક સ્કીમ ન રખાતા ફેસ્ટિવલને ફિક્કો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું વેપારીઓનું કહેવું છે. શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠનના પ્રમુખ મેઘરાજ ડોડવાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને જણાવ્યું છે કે શોપિંગ ફેસ્ટિવલમાં ગ્રાહકો માટે ગિફ્ટ કૂપન, પ્રોત્સાહક ઇનામ ન હોવાથી ફેસ્ટિવલ ફલોપ ગયો છે. વધુમાં તેમણે કહ્યું કે, 2019માં શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું ત્યારે ઇ-કૂપન સ્કીમ, કાર, એક્ટિવા, ટીવી, મોબાઇલ સહિત રૂ.500થી લઈને રૂ.5 લાખ સુધીના ઇનામોના કારણે ગ્રાહકોમાં થોડો ઉત્સાહ તો. તે સમયે 16 હજારથી વધુ વેપારીઓ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, શોપિંગ ફેસ્ટિવલ પહેલાં સરકારે 6 શોપિંગ સ્થળ, 12 હોટ સ્પોટ ઝોન ખરીદી માટે ઊભા કર્યા હતા. તેમજ 35 ટકા ડિસ્કાઉન્ટ આપવાના ‘સરકારી વાયદા’ કર્યા હતા. GSTમાં રાહત મળે તો વેપારીઓ-ગ્રાહકોને ફાયદો થાયકોટ વિસ્તાર ગુજરાતનું મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર છે, જ્યાં અંદાજે 50 હજારથી વધુ રિટેલ અને હોલસેલ વેપારીઓ કાર્યરત છે. જો સરકાર તરફથી મ્યુનિસિપલ ટેક્સમાં એક વર્ષ માટે રાહત અથવા નિશ્ચિત સમયગાળા માટે જીએસટીમાં કોઈ પ્રોત્સાહન આપવામાં આવે તો આવનાર વર્ષોમાં લાખો વેપારીઓ અને ગ્રાહકો ફેસ્ટિવલ સાથે જોડાઈ શકે છે. - મેઘરાજ ડોડવાણી, પ્રમુખ, શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠન

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:47 am

કામગીરી:પાલનપુર માનસરોવર તળાવમાંથી બાકી વધેલી જળકુંભી હવે શ્રમિકોએ બહાર કાઢવાની શરૂ કરી

પાલનપુર શહેરમાં પાછલા 2 વર્ષથી માનસરોવર તળાવ નવીનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત નવ કરોડના ખર્ચે વિકાસ કાર્ય હાથ ધરાઇ રહ્યો છે. પરંતુ વિકાસ કાર્યોને જાણે કે કોઈનું ગ્રહણ લાગ્યું હોય તેમ કોઈ કોઈ વિઘ્ન સર્જાઇ રહ્યા છે ગયા મહિને તળાવમાંથી જળકુંભી કાઢવા મશીનરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી લાવવામાં આવી હતી જે હવે અધુરુ કાર્ય મૂકીને પરત ગઈ છે. હવે બાકી વધેલી જળકુંભી શ્રમિકો દ્વારા બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના લીધે ફરી એકવાર પાલનપુરવાસીઓને નવા તળાવની મુલાકાત માટે હજુ વધુ રાહ જોવી પડશે. અત્યારની સ્થિતિ મુજબ જે જોવા મળી રહ્યું છે તે મુજબ શ્રમિકો જળકુંભીને બહાર કાઢીને એક સાઇડ ઢગલો કરી ઢગલો સુકાય એટલે સળગાવી દેવાનું આયોજન કરતા હોય તેમ કેટલોક બળી ગયેલો ઢગલો જોવા મળી રહ્યો છે. નગરપાલિકાના સૂત્રોને મશીનરી કેમ પાછી ગઈ તે બાબતે પૂછતા જણાવ્યું કે જ્યાં સુધી પાણીમાં મશીનરી ચાલી શકે તેમ હતી ત્યાં સુધી હટાવવામાં આવી છે હવે જ્યાં ઓછું પાણી છે તેવા 4થી5 ફૂટ પાણીમાં મશીનરી ન ચાલતા મેન્યુઅલી કામગીરી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:47 am

ઠંડીનો ચમકારો:આબુમાં પારો ગગડીને માઈનસ 3 ડિગ્રી ,હાડ થીજવતી ઠંડી વચ્ચે બરફની ચાદર પથરાઈ

માઉન્ટ આબુમાં શરદ મહોત્સવ અને ન્યૂ યર સેલિબ્રેશનને કારણે હજારો પ્રવાસીઓના આગમન સાથે હિલ સ્ટેશનમાં ભારે ભીડ જોવા મળી રહી છે.છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 2Cનો ઘટાડો થતાં પારો માઈનસ 3C સુધી પહોંચતા બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે. રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત દસમા દિવસે તીવ્ર ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થતાં પારો ગગડીને માઈનસ 3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો. કડકડતી ઠંડીને કારણે અનેક વિસ્તારોમાં બરફની સફેદ ચાદર છવાઈ ગઈ હતી, જેના કારણે મિની કાશ્મીર જેવા દ્રશ્યો સર્જાયા હતા.વહેલી સવારથી ઘરના આંગણાં, બગીચા, પાર્ક કરેલા વાહનો અને ખુલ્લા મેદાનો પર બરફના થર જામી ગયા હતા. છતાં પણ ઠંડી વચ્ચે પ્રવાસીઓનો ઉત્સાહ યથાવત રહ્યો હતો. છેલ્લા બે દિવસમાં ગુજરાત સહિત દેશભરમાંથી 30 હજારથી વધુ પ્રવાસીઓ માઉન્ટ આબુમાં ઉમટી પડ્યા હતા. નકી લેક સહિતના પર્યટન સ્થળોએ પ્રવાસીઓ ઠંડીની મજા માણતા નજરે પડ્યા હતા.પર્યટકોને આકર્ષવા માટે શરદ મહોત્સવ અને ન્યૂ યર સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે આગામી દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધુ વધારો થવાની શક્યતા છે. માઉન્ટ આબુમાં છેલ્લા 10 દિવસનું તાપમાન, ઠંડીમાં સતત વધારો 18 ડિસેમ્બરે 23.5 મહત્તમ અને 5.4C ન્યૂનતમ નોંધાયું હતું.જ્યારે પવન 8-10 કિમી/કલાક, 19 ડિસેમ્બરે 23.4 મહત્તમ અને 7.8 ન્યૂનતમ નોંધાયું હતું.જ્યારે પવન 9-12 કિમી/કલાક, 20-22 ડિસેમ્બરે મહત્તમ 22.8-23.8, ન્યૂનતમ 8.8-9.1,23-24 ડિસેમ્બરે મહત્તમ 21.7, ન્યૂનતમ 9.3, જ્યારે 25 ડિસેમ્બરે મહત્તમ 19.5 અને ન્યૂનતમ 6.5 જેથી તીવ્ર ઠંડી પડી હતી.26-27 ડિસેમ્બરે મહત્તમ 6.7 અને 6.2 ન્યૂનતમ

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:46 am

રસ્તાનું રાજકારણ:મંત્રી પ્રવીણ માળી આવે તે પહેલાં દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડીએ વહેલી સવારે ખાતમુહૂર્ત કરી દીધું

અમીરગઢ તાલુકામાં રવિવારે મંત્રી પ્રવીણ માળીના હસ્તે ખાતમુહૂર્ત થવાનું હતું તે પહેલાં જ દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ વહેલી સવારે અંધારામાં રસ્તાઓનું ખાતમુહૂર્ત કરી દીધું હતું. બાદમાં મંત્રી પ્રવીણ માળીએ કપાસિયા ખાતે ત્રણ બાળાઓના હસ્તે ફરીથી રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાવ્યું હતું.વિકાસના કામ શરૂ થાય એ પહેલા શ્રેય લેવા ખાતમુર્હુતની સ્પર્ધા જોવા મળી હતી. અમીરગઢ તાલુકામાં રવિવારે 46 કિલોમીટર લાંબા અને અંદાજે રૂ. 49 કરોડના ખર્ચે બનનારા જુદા જુદા 4 રસ્તાઓના ખાતમુહૂર્તનું આયોજન હતું. જોકે, વહેલી સવારે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ અંધારામાં જ ખાતમુહૂર્ત કરી નાખ્યું હતું. ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે ગુજરાતભરના ધારાસભ્યો પોતાના વિસ્તારમાં વિકાસકામોના ખાતમુહૂર્ત કરતા હોય છે. કોઈ મંત્રી આવીને બીજાના વિસ્તારમાં ખાતમુહૂર્ત કરતા નથી. પરંતુ મારા વિસ્તારમાં નવરા બેઠેલા મંત્રી પ્રવીણ માળીને બીજું કોઈ કામ નથી એટલે કપાસિયા–સૂર્ય રોડનું ખાતમુહૂર્ત કરવા આવ્યા છે. કપાસિયા 60 વર્ષ જૂનું ગામ છે. અહીંનો રસ્તો અગાઉ અનેક વખત રિસર્ફેસ થઈ ચૂક્યો છે અને રૂટીન મુજબ 2–3 વર્ષે ડામરનું કામ થતું રહે છે. તેથી જ મેં તેમને ‘નવરા મંત્રી’ કહ્યા છે. જો નવો રસ્તો બનતો હોત તો હું પણ કાર્યક્રમમાં જોડાયો હોત. મુખ્યમંત્રી પોતે આવે તો પણ સ્થાનિક ધારાસભ્યને યાદ કરવામાં આવે છે, પરંતુ અહીં તો મંત્રી હોવા છતાં મને બોલાવ્યા નથી. તેમની વિચારધારા અલગ છે, સ્થાનિક ધારાસભ્યને ભેગા રાખવા નથી માંગતા. ધારાસભ્યના ખાતમુહૂર્ત બાદ બપોરે મંત્રી પ્રવીણ માળી કપાસિયા પહોંચ્યા હતા. તેમણે ચાર રસ્તાઓનું ખાતમુહૂર્ત આદિવાસી અને માલધારી સમાજની દીકરીઓના હસ્તે કરાવ્યું હતું. આ પ્રસંગે કપાસિયા ખાતે સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે તેઓ રસ્તામાં આવતાં હતા ત્યારે રોડ પર કંકુ જોયું હતું. કોઈએ કહ્યું કે કોઈએ ખાતમુહૂર્ત કરી દીધું છે. બૂટ પહેરેલા ભાઈ અને માત્ર બે જણા આવીને ખાતમુહૂર્ત કરીને ગયા છે. આ ખાતમુહૂર્ત પ્રવીણ માળીએ નહીં, પરંતુ આદિવાસી અને માલધારી સમાજની દીકરીઓએ કર્યું છે. મંત્રી પ્રવીણ માળીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનકાળમાં કાળ અને સુવિધાઓનો અભાવ હતો. હવે ગામોમાં સુવિધાઓ વધતાં દીકરીઓ શિક્ષણ મેળવી રહી છે. કોંગ્રેસે 60 વર્ષમાં વનવાસી વિસ્તાર માટે રૂ. 1000 કરોડ પણ ફાળવ્યા નહોતા, જ્યારે ભાજપ સરકારે રૂ. 30,000 કરોડનું બજેટ ફાળવ્યું છે. કોઈપણ વિકાસકામ માટે તમારા વિસ્તારમાં તમારો ધારાસભ્ય હું છું એમ સમજીને કહેજો, વિકાસના કામો કરી આપીશ. આ રસ્તા નવા બનશે • ડાભેલા–અમીરગઢ–અંબાજી રોડ (11 કિલોમીટર, રૂ. 10 કરોડ), • નેશનલ હાઈવે થી સરોત્રા–કપાસિયા રોડ (17.5 કિ.મી., રૂ. 15 કરોડ), • ઈકબાલગઢ–ખારા રોડ (13.5 કિલોમીટર, રૂ. 14 કરોડ) • અમીરગઢ–ખાપા રોડ (6 કિલોમીટર, રૂ. 3.75 કરોડ)

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:45 am

એલસીબી દ્વારા કાર્યવાહી:હિંમતનગરમાં ચાઇનીઝ દોરીની 35 ફિરકીઓ સાથે યુવક ઝડપાયો

હિંમતનગરમાં ચાઇનીઝ દોરીના વેચાણ સામે એલસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરી શખ્સને ચાઇનીઝ દોરીની 35 ફિરકીઓ સાથે ઝડપી પાડ્યો હતો. એલસીબી પીઆઇ. ડી.સી. સાકરીયા તથા તેમની ટીમ હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, શખ્સ બાઇક પર ચાઇનીઝ દોરી રાખીને કિફાયતનગર, પાણીની ટાંકી પાસે, બાઇક નં. જીજે-09-એએમ- 9921 ઉપર થેલામાં ભરીને ચાઇનીઝ દોરીનું વેચાણ કરી રહ્યો છે. બાતમી આધારે તપાસ કરતાં એક શખ્સ ઝડપાયો હતો. જેણે પોતાનું નામ મોહમદદાનિશ મયુદ્દીનભાઇ શેખ (25) રહે. હડીયોલપુલ છાપરીયા, અશરફનગર, નીચવાસ, તા. હિંમતનગર હોવાનું જણાવ્યું હતું તેની પાસેથી ચાઇનીઝ દોરી ફિરકીના કુલ 35 નંગ કિં.8750, બાઇક નં. જીજે-09-એએમ- 9921 કિં. 20હજાર મળી પોલીસે 28,750નો મુદ્દામાલ ઝડપી તેની સામે ગુનો નોંધાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:43 am

ભાસ્કર એક્સક્લુસિવ:શહેરમાં નવાં 62 પાર્કિંગ બનશે, 4300 કાર, 12 હજાર ટુવ્હીલર પાર્ક થઈ શકશે

શહેરમાં ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે મ્યુનિ.એ નવા 62 સ્થળે સૂચિત પાર્કિંગ બનાવવા તૈયારી શરૂ કરી છે. જેમાં રાણીપ બ્રિજની નીચે, અંજલી બ્રિજની નીચે, મકરબા પોલીસ હેડક્વાર્ટરની બહાર ઓફ સ્ટ્રીટ, એસજી હાઇવે પર, સરખેજ રોજા સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. આ સૂચિત પાર્કિંગમાં ફોર વ્હીલર માટે 4322 અને ટુ વ્હીલર માટે 12 હજાર નવી પાર્કિંગની જગ્યા ઊભી કરાશે. હાલમાં મ્યુનિ.ના 39 પેઇડ અને 56 ફ્રી એમ 95 પાર્કિંગ છે. જેમાં ફોર વ્હીલરની 12,459 અને ટુ વ્હીલરની 22,716 વાહન પાર્કની ક્ષમતા છે. નવી જગ્યાથી 157 પાર્કિંગની જગ્યા થઈ જશે. જ્યારે ક્ષમતા વધીને ફોર વ્હીલર માટે 16,781 અને ટુ વ્હીલર માટે 34,716 થઈ જશે. જોકે, આ ક્ષમતા હજી વધી શકે છે, કારણ કે જે સૂચિત જગ્યાઓ સૂચવવામાં આવી છે તેમાં કેટલા વાહનો સમાઈ શકે છે તેની વિગત જાહેર નથી કરાઈ. હયાત પાર્કિંગમાં સૌથી વધુ પાર્કિંગના સ્થળો ઉત્તર પશ્ચિમ ઝોનમાં છે. 27 જગ્યાએ વાહનો પાર્ક કરવાની સુવિધા છે. કાર માટે 3,711 અને ટુ વ્હીલર માટે 4,708ની ક્ષમતા છે. જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછાં 4 વિસ્તારમાં પાર્કિંગની સુવિધા છે. અહીં કાર માટે 931 અને ટુ વ્હીલર માટે 2,357ની ક્ષમતા છે. નવા સૂચિત પાર્કિંગમાં ઉત્તર ઝોનમાં સૌથી વધુ 17 સ્થળે પાર્કિંગ હશે. જ્યાં 1344 કાર અને 2102 ટુવ્હીલર પાર્ક થઈ શકશે. જ્યારે મધ્ય ઝોનમાં જગ્યાના અભાવે ફક્ત 3 વિસ્તારમાં પાર્કિંગની સુવિધા અપાશે. અહીં 180 કાર અને 375 ટુ વ્હીલર પાર્ક થઈ શકે છે. ઓન સ્ટ્રીટ, ઓફ સ્ટ્રીટ, બ્રિજની નીચે છે. બે મલ્ટિલેવલ કાર પાર્કિંગ તૈયાર થઈ રહ્યા છે. 22 જગ્યા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ :એસ્ટેટ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ટ્રાફિકની સમસ્યાના કારણે અમે રસ્તા પરથી દબાણો દૂર કરી રહ્યા છે. નવી 62 પાર્કિંગની સુવિધા ઊભી કરાઈ છે. તે પૈકી 22 સ્થળોના ટેન્ડર થઈ ચૂક્યા છે. ભાસ્કર નોલેજઆટલી ક્ષમતા છતાં મ્યુનિ.ના 70થી 80 ટકા પાર્કિંગ ખાલીખમ પડ્યાં રહે છેમ્યુનિ.એ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્લોટ પાર્કિંગથી લઇ મલ્ટિલેવલ પાર્કિંગની વ્યવસ્થા કરી છે. છતાં 70-80% પાર્કિંગ ખાલી જ રહે છે. તેના સૌથી મોટું કારણ એ છે કે ટુ વ્હીલર માટે સરેરાશ 2 કલાક માટે રૂ.15થી માંડીને ફોર વ્હીલર માટે રૂ.50-100 ચાર્જ કરે છે. આ માટે નાગરિકો રસ દાખવતા નથી અને રોડ પર કોઇ ચાર્જ ભરવો ન પડે એટલે વાહન પાર્ક કરી દે છે. અહીં પાર્કિંગ સુવિધા ઊભી કરાશે

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:42 am

પોલીસનું ચેકિંગ:થર્ટી ફર્સ્ટને લઇ રાજસ્થાનને જોડતી 10 બોર્ડર પર પોલીસનું ચેકિંગ

અરવલ્લી પોલીસ દ્વારા 31 મી ડિસેમ્બરને લઇ જિલ્લાને સ્પર્શતા રાજસ્થાન બોર્ડર નજીકના વિસ્તારમાં આવેલી 10 ચેકપોસ્ટો ઉપર પ્રોહિબિશન તેમજ અનધિકૃત પ્રવૃત્તિ રોકવા બોર્ડર વિસ્તાર રિવ્યુ કરી વાહન ચેકિંગ હાથ ધરાયું છે. ઉપરાંત જિલ્લામાં પોલીસ દ્વારા 48 નાકા પોઇન્ટ એટલે કે ચેકપોસ્ટો કાર્યરત કરાઇ છે. 31 ડિસેમ્બરને લઈને અગત્યના પોઇન્ટ ઉપર ડ્રોન દ્વારા સર્વેલન્સ અને સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવા આયોજન કરાયું છે. તદઉપરાંત ચુસ્ત બંદોબસ્ત માટે ડીવાયએસપી પીઆઇ પીએસઆઇ પોલીસ કર્મચારી એસઆરપી અને હોમગાર્ડ તેમજ જીઆરડી સહિત કુલ 761 પોલીસ કર્મચારીઓને બંદોબસ્ત માટે નિયુક્ત કરાયા છે. પોલીસની આ તમામ ટીમો પીધેલાઓને ઝડપી પાડવા માટે બ્રેથ એનેલાઇઝર સાથે સજ્જ કરાઇ છે. રાજસ્થાનની 10 બોર્ડર ચેકપોસ્ટ અને 48 નાકા પોઇન્ટ ઉપર બાજ નજર રહેશે. DYSP કક્ષાના- 4 અધિકારી, PI કક્ષાના-19 PSI-31 પોલીસ-211 SRP-64, HG/GRD-432ને બંદોબસ્ત માટે ફાળવાયા છે. જિલ્લામાં 4 માસમાં 519 આરોપીઓની અટકાયત‎અરવલ્લી જિલ્લામાં એલસીબી તથા વિવિધ પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા 4 મહિનામાં પ્રોહિબિશનના વિદેશી દારૂના કુલ-311 કેસો કરાયા છે. જેમાં 96 જેટલા ગણના પાત્ર કેસો ગણાઇ રહ્યા છે. જિલ્લામાં વિદેશી દારૂ નશીલા પદાર્થો અને વાહનો સહિતનો કુલ 20 કરોડ રૂપિયા જેટલો મુદ્દામાલ કબજે લેવામાં આવેલ છે. પોલીસની આ કાર્યવાહી દરમિયાન 519 આરોપીઓની અટકાયત કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:40 am

ગ્રાઉન્ડ રિપોર્ટ:સરની ડ્રાફ્ટ યાદીમાં બાળકોના નામ‎આવી ગયા, માતા-પિતાના ન આવ્યા‎

એસઆઇઆર ડ્રાફટ યાદી જાહેર થયા બાદ તંત્ર દ્વારા જેમના નામ રહી ગયા હોય, નવા નામ ઉમરેવાના હોય, નામમાં ભૂલ હોય તો સુધારા વધારા કરવા માટે એક માસ જેટલો સમય મતદારોને અપાયો છે. ઉપરાંત તંત્ર દ્વારા વિશેષ કેમ્પનું આયોજન કરાયું છે. શનિ અને રવિવારે કેમ્પ જિલ્લાના તમામ બુથ ઉપર યોજાયો હતો. જેમાં મતદારોને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન બીએલઓ દ્વારા કરાયું હતું. સરની ડ્રાફ્ટ યાદીમાં બાળકોના નામ આવી ગયા હતા પરંતુ માતા અને પિતાના નામ આવ્યા ન હોવાથી તેઓ ફોર્મ ભરવા આવ્યા હતા. સાબરકાંઠા અને અરવલ્લીમાં બે દિવસ વિશેષ કેમ્પ પૂર્ણ થયો. હવે આગામી 3 અને 4 જાન્યુઆરીના રોજ ફરીથી વિશેષ કેમ્પ યોજાશે. કિસ્સો-1‎ યાદીમાં મારું અને પત્નીનું નામ નથી‎હિંમતનગરના હિંમત હાઇસ્કૂલ ખાતે આવેલ બુથમાં પોતાના બાળકોના નામના ફોર્મ ભરાઇ ગયા હોવા છતાં તેમના પોતાના ફોર્મ હજુ સુધી ભરાયા ન હોવાથી એક મતદાર ત્યાં આવ્યો હતો. મતદાર ડાહ્યાભાઇના જણાવ્યા અનુસાર છેલ્લા 36 વર્ષથી અમે અહીં રહીએ છીએ આ પહેલા અમે ડાકોર બાજુ રહેતા હતા. જ્યાંનું અમારું ચૂંટણી કાર્ડ છે. ચૂંટણી દરમિયાન અમે આધારકાર્ડની મદદથી અહીં હિંમતનગરમાં મતદાન કરેલ છે. પરંતુ હાલમાં સરકારી કામકાજમાં અમારું નામ યાદીમાં આવેલ નથી. અમારા બાળકોના નામ યાદીમાં આવ્યા છે. જ્યારે મારું અને મારી પત્નીનું નામ નથી. કિસ્સો-2‎ પત્ની ભણેલી ન હોઇ બેંકની પાસબુક‎લઇ નામ ઉમેરાવા માટે આવ્યો છું‎બગીચા વિસ્તારમાં આવેલ બુથમાં 1962માં જન્મેલા વ્યક્તિનું નામ ડ્રાફ્ટ યાદીમાંથી નીકળી જતાં જરૂરી આધાર પુરાવા લઇને આવ્યા હતા. સુરેશભાઇના જણાવ્યા અનુસાર મારી પાસે જન્મનો દાખલો નથી, તથા મારી પત્ની ભણેલ ન હોવાથી તેની પાસે એલસી પણ નથી. આથી બીએલઓ પાસેથી માર્ગદર્શન મેળવીને પીએલઆઇ તથા બેંકની પાસબુક લઇને આવ્યો છું. સાહેબના જણાવ્યા અનુસાર આના આધારે મારું નામ સામેલ થઇ જશે. કિસ્સો-3‎ નિવૃત્ત અધિકારી પાસપોર્ટ‎લઇ નામ ઉમેરાવા આવ્યા‎માણેકકૃપા બુથ ઉપર એક નિવૃત્ત‎અધિકારીનું નામ ડ્રાફ્ટ યાદીમાં‎ન આવતાં પોતે ભારતના‎નિવાસી છે તેના પુરાવા તરીકે‎ભારતીય પાસપોર્ટ લઇને આવ્યા‎હતા. જેની ઝેરોક્ષ બીએલઓને‎આપી હતી. આ ઉપરાંત 1990માં‎જન્મેલા રોહિતભાઇના જણાવ્યા‎અનુસાર મારા માતા-પિતા હયાત‎નથી તેમનું અવસાન 1995માં‎થયું હતું તેથી તેમનું નામ‎2002ની યાદીમાં પણ નથી.‎જ્યારે હું નાનો હતો તેથી મારું‎નામ પણ નથી. અહીં હું જન્મનો‎દાખલો, આધારકાર્ડ લઇને‎નવેસરથી ફોર્મ ભરવા આવ્યો છું.‎

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:38 am

ભાસ્કર એક્સક્લુસિવ:વાત્રક ડેમમાંથી બીજા રાઉન્ડમાં 80 ક્યૂસેકથી વધારે પાણી છોડાયું, પ્રથમ રાઉન્ડમાં 3હજાર હેક્ટરમાં વાવણી થઇ

અરવલ્લી જિલ્લામાં ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતા વાત્રક જળાશયમાંથી ડાબાકાંઠાની મુખ્ય નહેરમાં સિંચાઈ વિભાગ દ્વારા પાણીનો બીજો રાઉન્ડ શરૂ કરાયો છે. નહેરમાં 80 ક્યૂસેક કરતાં વધુ પાણી છોડાયું છે. ખેડૂતોને સિંચન માટે પૂરતું પાણી મળી રહે તે માટે ઉત્તરાયણ સુધી એટલે કે તા.14.15 જાન્યુઆરી સુધી બીજો રાઉન્ડ શરૂ રાખવા માટે સિંચાઈ વિભાગ દ્વારા આયોજન કરાયું છે. અરવલ્લી જિલ્લાના સૌથી મોટા અને 1 લાખ હેક્ટર કમાન્ડ એરિયા ધરાવતા વાત્રક જળાશયમાંથી રવિ પાકની સિઝનની વાવણી માટે પ્રથમ રાઉન્ડમાં પાણી અપાતાં માલપુર બાયડ તાલુકાના 3500 કરતાં વધુ ખેડૂતોની 3000 હેક્ટર જમીનમાં સિંચન થયું છે. વાત્રક જળાશયના પાણીથી ખેડૂતોએ ઘઉં મકાઈ રાયડો ચણા અને તમાકુના પાકની વાવણી કરી હોવાનું નોંધાયું છે. સિંચાઈ વિભાગ દ્વારા પ્રથમ રાઉન્ડમાં દિવાળીના તહેવાર બાદ પાણી છોડાતાં ખેડૂતોના દિવેલાના પાકમાં પણ ફાયદો થતાં દિવેલાના પાકમાં ઉત્પાદન વધવાની ખેડૂતો શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. વાત્રક જળાશયમાં સિંચાઈ વિભાગ દ્વારા રવિ પાકની સિઝનમાં પાણીનો બીજો રાઉન્ડ શરૂ કરાયો છે. જોકે સિંચાઈ વિભાગ દ્વારા ડાબા કાંઠાની મુખ્ય નહેરમાં પ્રથમ રાઉન્ડ બાદ સતત બીજો રાઉન્ડ પાણીનો શરૂ કરાયો હોવાનું ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર સંસ્કાર બ્રહ્મભટે જણાવ્યું હતું. વધુમાં તેમણે ખેડૂતોને પાણીનો બગાડ ન થાય તે માટે પણ અનુરોધ કર્યો હતો. જળાશયમાંથી પાણીનો બીજો રાઉન્ડ છોડાતાં ખેડૂતો શિયાળુ પાકોમાં સિંચન કરવાનું શરૂ કર્યું છે. આ વર્ષે શિયાળુ પાકોમાં પાણીનો પુરવઠો મળવાની આશાથી ખેડૂતોમાં ઉત્પાદન વધવાની આશા બંધાઈ છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:35 am

ચોરીનો પ્રયાસ:ઇડરના લાલપુર ગામમાં સાબરકાંઠા બેન્કના એટીએમમાં ચોરીનો પ્રયાસ

ઇડરના લાલપુરમાં તસ્કરોએ સાબરકાંઠા બેંકના એટીએમને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હતો. તસ્કરોએ એટીએમ મશીન અને સીસીટીવી કેમેરામાં તોડફોડ કરી હતી. પરંતુ મશીનમાં રહેલી રોકડ રકમ ચોરવામાં તેઓ સફળ થયા ન હતા.આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે સીસીટીવીના ફૂટેજ આધારે ચોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દૂધમંડળીના સેક્રેટરી રાજેશકુમાર બળદેભાઇ પટેલની ફરિયાદમાં જણાવ્યા અનુસાર દૂધ મંડળીના ટેસ્ટર મુકેશભાઇએ સવારે એટીએમનું શટર અડધું ખૂલ્લું તથા તાળું તૂટેલી હાલતમાં નીચે પડેલ જોયા બાદ તેમને જાણ કરી હતી. ત્યારબાદ રાજેશભાઇએ બેંકના મેનેજર આશિકઅલીને જાણ કરતાં તેઓ આવ્યા હતા. એટીએમ મશીનનો આગળનો દરવાજો અને લોખંડનું પતરું તોડી નાખ્યું હતું. જોકે, અંદર રહેલી રોકડ રકમ સુરક્ષિત હતી. તસ્કરોએ એટીએમ રૂમની અંદર લાગેલા સાયરન સેન્સર અને સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. તેમજ બહારના કેમરાની દિશા બદલી નાખી હતી. દૂધ મંડળીના ગોડાઉન પર લાગેલા કેમેરાની તપાસ કરતાં રાત્રિના આશરે 12.30 વાગે અજાણ્યો શખ્સ લાકડી લઇને આવ્યો હતો અને એટીએમની બહારના કેમેરાની દિશા ફેરવી દીધી હતી. ત્યારબાદ મોડી રાત્રે 2.30 વાગે શટરનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે સીસીટીવીના ફૂટેજ આધારે ચોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઘટનાને લઇ ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:34 am

ચોરી કરી તસ્કરો પલાયન:હિંમતનગરમાં જવેલર્સનું તાળું તોડી, શટર ઊંચું કરી 8.20 લાખના સોના અને ચાંદીના દાગીનાની ચોરી

હિંમતનગરમાં જલારામ મંદિર રોડ પર આવેલી જવેલર્સની દુકાનમાં શનિવાર રાત્રિના સમયે ચોરોએ દુકાનનું તાળું તોડી શટર ઊંચું કરી સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. 8.20 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે હિંમતનગર એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. હિંમતનગરમાં જલારામ મંદિર રોડ પર સહજાનંદ ડી એપાર્ટમેન્ટમાં વિજયા જ્વેલર્સમાં શનિવારની રાત્રે ચોરોએ દુકાનનું તાળું તોડી અને શટરને બે ફૂટ જેટલું ઊંચું કરી ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સાથે સાથે ચોરો સીસીટીવી ફૂટેજનું ડીવીઆર પણ લઇ ગયા હતા. આ મામલે મયુર હનુમંત રાક્ષે (મરાઠી)(29) રહે. સાનિધ્ય બંગ્લોઝ, ડેમાઇ રોડ હિંમતનગરની ફરિયાદમાં જણાવ્યા અનુસાર ચોરો દ્વારા દુકાનમાં રહેલ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જેમાં સોનાની કાનની બુટ્ટી નંગ 10 કિં. 1,10,000, કાનની મિક્ષ બુટ્ટી નંગ 6 કિં. 55,000, નાકની નથણી નંગ 4 કિં. 55,000, ચાંદીના દાગીનામાં છત્તર નંગ 15, નાના મોટા નાગ નંગ 15, ગણપતિ, લક્ષ્મીજી, મહાકાલી માતાની નાની મોટી મૂર્તિઓ નંગ 20, ચાંદીના મંગળસૂત્ર 05, કડુ 1, વિંટી નંગ-3, કંકાવટી નંગ-6, હિંચકા નંગ 8, શિવલીંગના સ્ટેન્ડ નંગ 2, ચાંદીની નાની ડીશો નંગ 3, વાટકી નંગ 3 તથા ચમચીઓ નંગ 3 તથા પરણાયા નંગ 7 તથા દીવીઓ નંગ 7 મળી આશરે 2.5 કિલો ગ્રામ કિં. 6 લાખ મળી કુલ 8.20 લાખના સોનાના અને ચાંદીના દાગીનાની ચોરો ચોરી ગયા હતા. સાથે સાથે ચોરો સીસીટીવી ફૂટેજનું ડીવીઆર પણ લઇ ગયા હતા.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:34 am

ગામ ગામની વાત:ડાંગ જિલ્લાનું મુખ્ય વેપારી મથક ગામ ‘વઘઇ’‎

તરૂણ વૈષ્ણવ વધઇ ગામમાં વર્ષો પહેલા સાગના લાકડાનો વેપાર વધારે હોવાથી ગાયકવાડના સમયમાં વઘઇથી બીલીમોરા વચ્ચે લાકડાની હેરાફેરી કરવા માટે સરા લાઇન નેરોગેજ રેલ્વે શરૂ કરી હતી અને વઘઈ ખાતે નાના પાયે બજાર પણ વિકસિત થતા ઇમારતી લાકડા માટે વેપારી મથક તરીકે ઓળખાતો હતો. ડાંગ જિલ્લાના વધઈ ગામમાં વર્ષો પહેલા ગાયકવાડ સરકારએ વધઈ અને બીલીમોરા વચ્ચે લાકડા વહન થાય જેના માટે સરા લાઇન રેલ્વે માર્ગ નામથી જાણીતી નેરોગેજ રેલવે દ્વારા બીલીમોરા જંકશન સાથે જોડાયેલ છે વધઇ ગામ આજુબાજુના ગામોનું કેન્દ્ર હોવાના કારણે વઘઇ ખાતેથી નાના પાયે બજાર પણ વિકસિત થયેલું છે. ઇમારતી લાકડાના વેપારી મથક તેમજ ડાંગ વિસ્તારના લોકોની જરૂરી દરેક ચીજવસ્તુઓ માટેના વેપારી મથક તરીકે વઘઇ જાણીતું થયો હતો અને ડાંગ જિલ્લાનું પશ્ચિમ દિશાનું પ્રવેશ દ્વાર પણ ગણાય છે. વઘઇ ખાતે લાકડાના વેપારીઓ તથા વિવિધ જંગલ મંડળીઓ પણ ચાલતી હતી. જ્યારે એક મુખ્ય વ્યવસાય તરીકે સાગના ઝાડોની કાપણી કરી અહીં વન વિભાગ દ્વારા હરાજી કરી ગુજરાત સહિત બીજા રાજ્યોના વેપારીઓ લાકડાની ખરીદી કરી લઈ જતા હતા. જ્યારે લોકોને પુષ્કળ પ્રમાણ માં મજૂરી પણ મળતી હતી આ ગામ નજીકના ગામોમાં મુખ્ય વેપાર સાગના લાકડા હતા. જેના થકી ખેડૂતોને સારી આવક મળતી હતી. ગામમાં સર્વ સેવા કેન્દ્ર સંચાલિત પુણી કેન્દ્ર પણ ચાલતુ હતું, ખેતીવાડી કોલેજ, વન વિભાગની સોમીલ, સર્કલ ઉપર ગાંધીબાગ વિવિધ સહકારી મંડળીઓના કાર્યલયો આવેલા હતા. જિલ્લાના અન્ય ગામો કરતા વઘઇ વધુ વિકસીત છે. ગીરાધોધ સહિતના પર્યટન સ્થળો વઘઇ ગામ નજીક સાપુતારા રોડ ઉપર મહત્ત્વના સ્થળો છે. જેમાં મુખ્યત્વે નજીક આનવેલ ગીરાધોધ છે. આ ધોધ સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ છે અને ઠેર ઠેરથી પ્રવાસીઓ આવે છે. બોટોનિકલ ગાર્ડન પણ અહીંનું અનોખું છે. અહીં ઔષધિય વનસ્પતિ સહિત અન્ય વનસ્પતિઓનું પણ ખૂબ સારુ સંવર્ધન છે અને પ્રવાસીઓ માટે તે પણ આકર્ષણનું કેન્દ્ર છે. ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકોને પરેશાનીસમસ્યા વઘઇ બજારમાં ટ્રાફિકની સમસ્યા છે. ટ્રાફિકની સમસ્યાને લઇ અહીંથી અવરજવર કરતા વાહન ચાલકોને ખુબ તકલીફ પડે છે. જે હલ કરવી જરૂરી છે. તથા ગ્રામ પંચાયતના નવા મકાનની કામગીરી છેલ્લા ઘણા સમયથી બંધ પડેલી છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:31 am

કાર્યવાહી:સાપુતારામાં આંતરરાજ્ય ઘર ફોડ ચોરી‎કરનાર ત્રણ આરોપીઓને પોલીસે ઝડપ્યા‎

ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરનાર અને રીઢા ગુનાહિત ઈતિહાસ ધરાવતી ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. તેમજ સાપુતારા પોલીસે 20 લાખ રૂપિયા કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 31મી ડિસેમ્બરનાં આગામી તહેવારોને ધ્યાને રાખીને ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક પૂજા યાદવનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.પી.ડી.ગોંડલિયા ની ટીમ સાપુતારા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન મહારાષ્ટ્ર તરફથી આવતી એક સફેદ રંગની હ્યુન્ડાઇ ક્રેટા ગાડી (નંબર GJ-20-CB-2646) ને રોકી તપાસ કરતા, તેમાંથી લોખંડની કોશ (ગણેશીયુ) મળી આવ્યુ હતુ. જેથી સાપુતારા પોલીસની ટીમને શંકા જતા ગાડીનાં ચાલકને ગાડી સાઈડમાં ઉભી રાખવા જણાવ્યુ હતુ. પરંતુ ગાડીનો ચાલક ગાડી ભગાડી ગયો હતો, પરંતુ સાપુતારા પોલીસની ટીમે તુરંત જ પીછો કરીને ગાડી સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય બે આરોપીઓ જંગલનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. સાપુતારા પોલીસની ટીમે અનિલભાઇ રેવાભાઇ ભાભોર (ઉ.વ. 27, રહે. ગરબાડા, દાહોદ), વકીલ તેરસિંગ ભાભોર (ઉ.વ. 32, રહે. ગરબાડા, દાહોદ), મિથુનભાઇ મનુભાઇ ભાભોર (રહે. ગરબાડા, દાહોદ)ને ઝડપી પડ્યા હતા. જ્યારે કમલેશભાઇ દિપાભાઇ ભાભોર અને કાંતી તેરસીંગ ભાભોરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓ અગાઉ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી, લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. પકડાયેલ આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓએ 26 ડિસેમ્બર 2025ના રોજ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના અકલુજ ખાતે આવેલી ''યસવંતનગર બી.એસ. કન્સટ્રકશન'' ઓફિસમાં ચોરી કરી હતી. આ અંગે અકલુજ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયેલો છે. આ પ્રશંસનીય કામગીરી સાપુતારા પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.ડી. ગોંડલીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે. કુલ 20.36 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 20,36,680નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં પોલીસે રોકડ રકમ રૂ. 5,13,180 હ્યુન્ડાઇ ક્રેટા ગાડી જેની કિંમત રૂ.15,00,000 તથા ચાંદીની બે ચેન અને સાંકળા જેની કિંમત રૂ.10,000 તથા ત્રણ મોબાઈલ ફોન,ચોરીમાં વપરાતા સાધનો (કોશ, પકડ, બુકાની અને માસ્ક) વગેરે સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:28 am

શેલામાં યોજાયેલી મેડિકલ કોન્ફરન્સમાં 5 હજાર ડોક્ટરે ભાગ લીધો:25 હજાર યુવતીને સર્વાઇકલ કેન્સર વિરોધી રસી અપાશે, ચણા-મમરાની જેમ લેવાતી એન્ટિબાયોટિક દવાઓ પર નિયમન લવાશે

શેલાની ક્લબ O7માં યોજાયેલી ત્રણ દિવસની કોન્ફરન્સ નેટકોન-2025માં રેકોર્ડબ્રેક 5 હજારથી વધુ ડોક્ટરે હાજરી આપી હતી. કુલ 550 રિસર્ચ પેપર-પોસ્ટર રજૂ કરી બે વર્લ્ડ રેકોર્ડ બનાવાયા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ઇન્ડિયન મેડિકલ એસો. (આઈએમએ)ના નવા પ્રમુખ તરીકે ડો. અનિલ નાયકને વિધિવત્ કાર્યભાર સોંપાયો હતો. ડો. નાયકે જણાવ્યું કે, આવતા વર્ષે આઈએમએનું મુખ્ય લક્ષ્ય જાહેર આરોગ્ય, સંશોધન અને વિશ્વાસ આધારિત હેલ્થકેર સિસ્ટમ મજબૂત કરવાનું રહેશે. રાજ્યની 25 હજાર યુવતીને સર્વાઇકલ કેન્સરથી બચાવવા માટે એચપીવી વેક્સિન અપાશે, જેની શરૂઆત ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોથી થશે. એન્ટીબાયોટિક દવા ચણા-મમરાની જેમ લેવાય છે, જેનાથી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. દવા પર નિયમન માટે WHO, નેશનલ એક્રેડેશન બોર્ડ ઓફ હોસ્પિટલ્સ (NABH) સાથે મળીને કામ કરીશું. કોન્ફરન્સમાં ડો. કેતન દેસાઈએ રમૂજ કરતા કહ્યું કે,આઈએમએ લોકશાહી રીતે ચાલતી સંસ્થા છે, કેમ કે અહીં પ્રેસિડેન્ટ ચૂંટાયા બાદ બંને પક્ષ સાથે રહીને કામ કરે છે. બેલેટ પેપર કે વોટ ચોરી જેવા આક્ષેપો લાગતા નથી. જ્યારે ગૃહમંત્રી અમિત શાહે ભાષણમાં કહ્યું- ડોક્ટરોએ પોતાનું આયુષ્ય વધારવું હોય તો જે સલાહ દર્દીને આપો છો તે પોતાના પર અજમાવો, જેથી કોઈ કાયદા કે સુરક્ષા લેવાની જરૂર ન પડે. કેન્સરની સારવારમાં નવો યુગ શરૂ થયો ઇમ્યુનોથેરાપી કેન્સરની સારવારમાં નવો યુગ શરૂ કરી રહી છે, જેમાં રોગપ્રતિકારક શક્તિને કેન્સર સામે લડવા સક્રીય કરાય છે. AI જિનોમિક વિશ્લેષણથી અસરકારક સારવાર શક્ય છે. -ડૉ.અભિષેક કાકરૂ ડોક્ટરની દેખરેખમાં AIનો ઉપયોગ જરૂરી રેડિયોલોજીમાં AI એક્સ-રે, CT, MRIમાં સુક્ષ્મ બદલાવ ઝડપથી શોધે છે. ECGથી હૃદયના અનિયમિત ધબકારા પકડાય છે. જોકે AIનો ઉપયોગ ડોક્ટરની દેખરેખમાં થવો જરૂરી છે. - ડૉ.અવનિશ ખૈર એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ ગંભીર એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ ગંભીર બની રહ્યું છે. તાવના ઘણા કેસ વાઇરસજન્ય હોવાથી એન્ટિબાયોટિક જરૂરી નથી. ખુલ્લેઆમ દવા મળવી તે સમસ્યાનું મૂળ. - ડૉ. આકાંક્ષા પ્રજાપતિ USમાં વિવિધ મેરિટ પર રેસિડન્સી મળે અમેરિકામાં ક્લિનિકલ અનુભવ, રિસર્ચ, કમ્યુનિટી સર્વિસ, કઈ કમિટીમાં છો જેવા મેરિટને આધારે રેસિડન્સી અપાય છે. નેટકોનમાં આ વિષય પર માર્ગદર્શન અપાયું હતું. - ડો. ચિરવાના પટેલ જીનોમિક્સ દ્વારા કેન્સરનું નિદાન જીનોમિક્સથી કેન્સરના સેલનો અભ્યાસ કરીને કયા જીનમાં ડિફેક્ટ છે તે શોધીને ડીએનએ-આરએનએમાં થયેલા બદલાવને આધારે સારવાર કરવાથી અસરકારકતા વધે છે. - ડો. કેયૂર પટેલ એવિડન્સ બેઝ્ડ નિદાનની જરૂર છે ઘણા ડોક્ટર્સ પોતાના ઇગો, અનુભવને આધારે રોગનું નિદાન-સારવાર કરે છે, જેથી ભારતમાં એવિડન્સ બેઝ્ડ સારવાર અને ઇન્ટરપ્રેટ કરવાનું જ્ઞાન વધારવાની જરૂર છે. -ડો. ભાવિન દલાલ સહાયમાં વિલંબથી ગેરરીતિઓ વધી છે અમેરિકામાં દર્દીઓને એપોઇન્ટમેન્ટમાં ઘણો સમય નીકળી જાય છે. ભારતમાં દર્દીની તુરંત સારવાર શકય છે પણ સરકારી સહાયમાં મોડું થાય છે. જેથી ગેરરીતિને પ્રોત્સાહન મળ્યું છે. -ડો. અસીમ શુક્લા

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:28 am

કાર્યવાહી:નવસારીના આમડપોરમાં બુલેટ ટ્રેન બ્રિજ નજીકથી જુગાર ઝડપાયો

નવસારી તાલુકાના આમડપોર ગામની સીમમાં બુલેટ ટ્રેન ઓવરબ્રિજ પાસે ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી 6 ની ધરપકડ કરી છે. નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.જી. ભરવાડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હિમાંશુભાઇ અને શિવરાજભાઇને બાતમી મળી હતી કે, આમડપોરથી તેલાડા જતા રોડ પર બુલેટ ટ્રેન બ્રિજ પાસે કેટલાક ઇસમો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે રેડ કરતા સ્થળ પરથી 6 આરોપીઓ તીન-પત્તીનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 5.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં રોકડ રકમ રૂ.47550, મોબાઈલ 6 કિંમત રૂ.30 હજાર, વાહનો 4.90 લાખનો સમાવેશ થાય છે. ઝડપાયેલા કબીલપોર વિસ્તારના કોન્ટ્રાક્ટરો પકડાયેલા આરોપીઓમાં કલ્પેશ પ્રવિણભાઇ પ્રજાપતિ, રાવતલાલ ઉર્ફે રાહુલ પ્રજાપતિ, બનવારીલાલ ગોવિંદભાઈ પ્રજાપતિ, ભગવાનરામ ચુનારામ પ્રજાપતિ, ભંવરલાલ સેવારામ પ્રજાપતિ અને શ્રવણસિંહ મોતીસિંહ દહીયાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:25 am

રાહવીર:તમારી એક મિનિટની હિંમત કોઈનો જીવ બચાવી શકે

હાલમાં નવસારી સહિત સમગ્ર જિલ્લા અને રાજ્ય સ્તરે થતા માર્ગ અકસ્માતમાં કોઈ ગંભીર ઇજાગ્રસ્તને બચાવી તેને નજીકના હોસ્પિટલમાં લઈ જતા તેમનો જીવ બચે તે માટે સરકાર દ્વારા રાહવીર યોજના અમલમાં મૂકી છે.એમ તો વર્ષ 2012માં ગુડ સમરીટન સ્કીમ અંતર્ગત જીવ બચાવનારને પુરસ્કાર આપવામાં આવતા પણ હવે સરકાર દ્વારા રાહવીર યોજના નવું નામકરણ કરીને પુરસ્કારની રકમ વધારાઇ છે. સામાન્ય રીતે લોકો પોલીસ કેસ અથવા કાયદાકીય ગૂંચવણોના ડરથી અકસ્માતના ઇજાગ્રસ્તોને મદદ કરતા ખચકાય છે. ગંભીર અકસ્માત સમયે ઘાયલ વ્યક્તિ માટે પ્રથમ એક કલાક ખૂબ જ મહત્વનો હોય છે, જેને તબીબી ભાષામાં ગોલ્ડન અવર' કહેવામાં આવે છે. આ સમય દરમિયાન જો ઘાયલને સારવાર મળે, તો તેનો જીવ બચવાની શક્યતા 80% વધી જાય છે. આ હેતુને સાર્થક કરવા સરકાર દ્વારા રાહવીર યોજના' અમલમાં મૂકાઇ છે. રાહવીર યોજનાનો ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓની મદદ કરવા પ્રોત્સાહિત કરવાનો અને માનવતા જાળવી રાખવાનો છે. અકસ્માત સ્થળેથી ઇજાગ્રસ્તને તાત્કાલિક નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલ લઈ જવો. હોસ્પિટલના ડોક્ટર દ્વારા રાહવીરની વિગતો ફોર્મમાં નોંધાશે. જિલ્લા સ્તરની કમિટી દ્વારા કેસની તપાસ કર્યા બાદ ઇનામની રકમ સીધી રાહવીરના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. રાહવીર યોજનામાં અકસ્માતમાં મદદ કરનાર વ્યક્તિને પોલીસ કે હોસ્પિટલ દ્વારા બિનજરૂરી પૂછપરછ કરાતી નથી. મદદ કરનાર વ્યક્તિ પોતાની મરજી વગર સાક્ષી બનવા માટે બંધાયેલો પણ નથી. ત્રણ લોકોના નામ રાજ્ય સ્તરે મોકલાયા છે રાહવીર યોજના (જેને કેન્દ્ર સરકાર દ્વારા Good Samaritan Scheme તરીકે પણ ઓળખવામાં આવે છે) જેને નવસારીમાં પણ અમલ મુકવામાં આવી છે.હાલ નવસારી જિલ્લામાં લોકોના જીવ બચાવનાર 3 વ્યક્તિઓના નામ સ્ટેટ લેવલની કમિટીમાં મોકલવામાં આવ્યા છે. પૂરી તપાસ બાદ આ રાહગીરોને 25 હજારનું ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. > પરાગ કે.ડાવરા, પી.આઈ., ટ્રાફિક વિભાગ, નવસારી સરકારની યોજનાનો મુખ્ય હેતુ શું છે સામાન્ય રીતે લોકો અકસ્માતમાં મદદ કરવા માટે તૈયાર હોય છે પણ પોલીસ કેસ અથવા કાયદાકીય ગૂંચવણોના ડરથી અકસ્માતના ઇજાગ્રસ્તોને મદદ કરવા ખચકાય છે. યોજનાનો ઉદ્દેશ ઘાયલ વ્યક્તિને મદદ કરી માનવતા જાળવી રાખવાનો છે. આ યોજના દેશના તમામ રાજ્યોમાં લાગુ પાડવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:24 am

BLOએ ફોર્મ ભરી આપવાની કામગીરી કરી‎:નવસારી શહેરમાં મતદાર યાદી સુધારણા વિશેષ ઝુંબેશ જારી

નવસારી શહેરમાં પણ મતદાર યાદી સુધારણા અને 18 વર્ષ પૂરા થયેલા યુવા ઓનાં ફોર્મ ભરવાની કામગીરી રવિવારે પણ ચાલુ રહી હતી જેમાં આગામી 3 અને 4 જાન્યુઆરી ના રોજ પણ આ કામગીરી નજીકના મતદાન મથકો એ બી. એલ ઓ ફોર્મ ભરાવવામાં મદદ કરશે. આખરી મતદાર યાદી 19 ફેબ્રુઆરી ના રોજ પ્રસિદ્ધ થશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2026 હેઠળ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે. જે અંતર્ગત રવિવારે પણ દરેક મતદાન મથકોએ બીએલઓએ સવારે 10 થી 5 વાગ્યા સુધી બેસી ફોર્મ નં. 6, 7 અને 8 પુરાવા સાથે મતદાર પાસેથી લીધા હતા. વાંધા રજૂ કરવાનો સમયગાળો 18 જાન્યુઆરી સુધીનો છે. 19 ફેબ્રુઆરીના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:22 am

મંડે પોઝિટીવ:નવસારીની હવાની ગુણવત્તા લોકો પણ જાણી શકશે, મનપાએ લગાવ્યું મોનીટરીંગ સિસ્ટમ

નવસારી શહેરના વાયુ પ્રદૂષણ અને વાયુ ગુણવત્તા સૂચકાંક અંગે પણ અનેક આંકો બહાર આવી રહ્યા છે ત્યારે હવે મનપા હવા ગુણવત્તા મોનીટરીંગ સિસ્ટમ લગાવી રહી છે. માનવીના આરોગ્યને ખોરાક, પાણી સાથે હવા પણ સીધી રીતે અસર કરે છે ત્યારે હવાની ગુણવત્તા પણ સારી રહે તે જરૂરી છે. હાલના દિવસોમાં દિલ્હી સહિત દેશના અનેક શહેરોના હવાની ગુણવત્તા ચકાસણી કરતો AQI ખૂબ જ વધુ હોવાનું તથા તે જોખમકારક હોવાનું પણ બહાર આવતા હવા શોધ રહે, AQI ઓછો રહે તેના ઉપર ભાર મૂકાઈ રહ્યો છે. નવસારીમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી લોકો શહેરનો AQI કેટલો છે તે જોવા મહેનત કરી રહ્યા છે,જેમાં ગુગલ ઉપર સર્ચ કરતા વિવિધ જગ્યાએ માપણીમાં અલગ અલગ 100, 130 યા તેથી વધુ પણ બતાવી રહ્યા છે. કેટલાક તેને શહેરનો નહી પણ અન્ય જગ્યાનો પણ કહી રહ્યા છે. આ સ્થિતિમાં હવે અહીંની મહાપાલિકા પોતે હવા ગુણવત્તા મોનીટરીંગ લગાવી દીધી છે.હાલ કેટલુંક અપગ્રેડેશન ચાલી રહ્યું છે. બાદમાં લોકો પણ તે જોઈ શકશે એમ જાણવા મળે છે. મનપા સૂત્રો જણાવે છે કે હાલ જે AQI ની ચકાસણી કરાઈ તેમાં શહેરનો 42 યા 50 ની આસપાસ આવ્યો છે. સાંજના સમયે થોડો વધુ રહેતો હોવાનું પણ જણાતું છે. પૂર્વ અને પશ્ચિમ એમ બે જગ્યાએ લગાવાયું નવસારી મનપા વિસ્તાર હવે ખૂબ મોટો થઈ ગયો છે જેથી એક જગ્યાએ મોનીટરીંગ સિસ્ટમ લગાવવાથી આખા શહેરનો ક્યાસ કાઢી શકાય નહી. આ સ્થિતિમાં મનપાએ શહેરમાં બે જગ્યાએ સિસ્ટમ લગાડી છે. એક પૂર્વ બાજુએ આવેલ લુન્સીકુઇના દીનદયાલ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ તથા બીજું પશ્ચિમ બાજુએ વિજલપોરમાં ઘેલખડી રોડ ઉપર આવેલ મનપાની વિભાગીય કચેરી ખાતે લગાવાયું છે. બે સિસ્ટમથી શહેરની સરેરાશ સ્થિતિ મળી શકવાનો અંદાજ છે. આગામી દિવસોમાં સિસ્ટમ વધુ પારદર્શક બનશે. શહેરની બાંધકામ સાઇટોની ચકાસણી મહાનગરપાલિકાએ રાજ્ય કક્ષાએથી આવેલ આદેશ મુજબ હાલમાં નવસારી શહેરમાં આવેલ નવા બાંધકામની સાઇટોની હવા ગુણવત્તા ચકાસણી અંતર્ગત ચેકીંગ હાથ ધર્યુ હતું. વધુમાં મનપા દ્વારા બાંધકામના સંચાલકોને પ્રદૂષણ ન ફેલાય તે માટે લેવાના પગલાં અંગે પણ આદેશ આપ્યા હતા. શહેરની બાંધકામ‎સાઇટોની ચકાસણી‎મહાનગરપાલિકાએ રાજ્ય કક્ષાએથી‎આવેલ આદેશ મુજબ હાલમાં નવસારી‎શહેરમાં આવેલ નવા બાંધકામની‎સાઇટોની હવા ગુણવત્તા ચકાસણી‎અંતર્ગત ચેકીંગ હાથ ધર્યુ હતું. વધુમાં‎મનપા દ્વારા બાંધકામના સંચાલકોને‎પ્રદૂષણ ન ફેલાય તે માટે લેવાના પગલાં‎અંગે પણ આદેશ આપ્યા હતા.‎ AQI સૂચક આંક પ્રમાણે‎સ્થિતિ અને થતી અસર‎ હવાની ગુણવત્તા માટે આ પ્રદૂષકોની ચકાસણીહવા ગુણવત્તા સૂચકાંક યા AQI માપવા માટે કેટલાક મહત્વના પ્રદૂષકો માપવા જરૂરી બને છે. જેમાં સૂક્ષ્મ રજકણ pm2.5 અને PM 10, કાર્બન મોનોક્સાઇડ ઓઝોન,નાઈટ્રોજન ઓક્સાઈડ, સલ્ફર ડાયોક્સાઈડ વિગેરેનો સમાવેશ થાય છે. આ ચકાસણીના આધારે હવાની ગુણવત્તા કેવી અને AQI કેટલો તે નક્કી થતો હોવાનું જાણવા મળે છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:21 am

રિઅલ એસ્ટેટ સેક્ટરમાં નોંધાઈ 14% વૃદ્ધિ:નગર હવે રાજ્યનું સૌથી ઝડપી વિકસતું રિઅલ એસ્ટેટ હબ બન્યું, 216 પ્રોજેક્ટથી 16160 કરોડનું રોકાણ

ગાંધીનગર આજે રાજ્યમાં સૌથી ઝડપી ગતિએ વિકસતું રિયલ એસ્ટેટ હબ બની રહ્યું છે. 2022-23 અને 2023-24ના વર્ષ દર વર્ષના તુલનાત્મક આંકડાઓ સ્પષ્ટ કરે છે કે જ્યાં રાજ્યના મોટા શહેરોમાં પ્રોજેક્ટ નોંધણીમાં ઘટાડો અથવા સ્થિરતા જોવા મળી છે, ત્યાં ગાંધીનગરે 14 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. જે સમગ્ર રાજ્યમાં સર્વોચ્ચ છે. રેરાના અધિકૃત આંકડાઓ મુજબ, 2022-23માં ગાંધીનગરમાં 190 નવા પ્રોજેક્ટ નોંધાયા હતા, જે 2023-24માં વધીને 216 થયા છે. તેની સામે અમદાવાદમાં પ્રોજેક્ટ વૃદ્ધિ -4 ટકા રહી, વડોદરામાં -28 ટકા, સુરતમાં -0.3 ટકા, રાજકોટમાં માત્ર 4 ટકા વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં સરેરાશ -19 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ 216 નવા પ્રોજેક્ટોથી ગાંધીનગરમાં કુલ ₹16,160 કરોડનું રોકાણ થયું છે. આ પરિબળો જેનાથી રિઅલ એસ્ટેટ સેક્ટરને પ્રોત્સાહન મળ્યું કનેક્ટિવિટી અને ગવર્નન્સથી રોકાણકારો આકર્ષાયાઅમદાવાદ–ગાંધીનગર મેટ્રો રેલ ફેઝ-2 શરૂ થવાથી શહેરની પ્રાદેશિક કનેક્ટિવિટીમાં ક્રાંતિકારી સુધારો આવ્યો છે. ગિફ્ટ સિટીના આંતરિક વિસ્તરણ માટે ડિસેમ્બર 2025માં નવા ટેન્ડરો આમંત્રિત કરવામાં આવ્યા હતા, જ્યારે મહાત્મા મંદિર–સચિવાલય રૂટ પર જાન્યુઆરી 2026થી મેટ્રો રેલ શરૂ થવાની છે. મ્યુનિસિપલ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટથી શહેરી સુવિધાઓ મજબૂત બનીશહેરના મૂળભૂત માળખાને મજબૂત બનાવવા રાજ્ય સરકારે એપ્રિલ 2025માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને ₹606.34 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ₹627 કરોડના 15 પ્રોજેક્ટો પૂર્ણતાની કગાર પર છે. ઉપરાંત, મે 2025માં ₹708 કરોડના વિકાસ પ્રોજેક્ટોના લોકાર્પણથી નાગરિક સુવિધાઓમાં મોટો સુધારો આવ્યો છે. 55 ટકા પ્રોજેક્ટ 25 કરોડથી નીચેના, 8 ટકા 100 કરોડથી વધુનાનગરમાં 55 ટકા પ્રોજેક્ટ 25 કરોડથી નીચેની કિંમતના છે જે એફોર્ડેબલ હાઉસીંગનો વ્યાપ દર્શાવે છે. 25થી 50 કરોડ સુધીના 20 ટકા પ્રોજેક્ટ છે. જ્યારે 10થી 12 ટકા પ્રોજેક્ટ 50થી 100 કરોડના, 8 ટકા પ્રોજેક્ટ 100 કરોડના છે. 216માંથી 115 કૉમર્શિયલ પ્રોજેક્ટમાં ગાંધીનગર અગ્રેસર216 પ્રોજેક્ટોમાંથી 115 કૉમર્શિયલ છે, જે બિઝનેસ અને ઓફિસ સ્પેસ આધારિત વિકાસને દર્શાવે છે. 81 રેસિડેન્શિયલ, 7 પ્લોટ ડેવલપમેન્ટ અને બાકીના મિક્સ્ડ યુઝ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ થકી કુલ 30,904 યુનિટનું નિર્માણ થશે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am

મંડે પોઝિટીવ:ભરતી માટે પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગોને કોમ્પ્યુટર શીખવવા ઓડિયો અને AI આધારિત સાધનોની વ્યવસ્થા

સરકારી ભરતીમાં રીઝર્વેશન મળવા છતાં કોમ્પ્યુટર શીખી નહીં શકતાં દ્રષ્ટિહિન દિવ્યાંગો સરકારી ભરતીમાં ઉત્તિર્ણ થઇ શકતા નથી ત્યારે આવા દિવ્યાંગ યુવાનોને કોમ્પ્યુટરમાં નિપૂણ બનાવવા માટે સેક્ટર-16માં સર્વિસ એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડ દ્વારા વિશેષ સુવિધા સાથેનું બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ બિલ્ડીંગમાં ઓડિયો અને AI આધારિત સાધનો દ્વારા કમ્પ્યુટર અને ટેક્નિકલ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. હાલ 57 પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગોને સરકારી ભરતી માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. સમાવેશક શિક્ષણની દિશામાં એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી પગલાં તરીકે, દ્રષ્ટિહિન દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ બનાવવામાં આવેલું નવું શાળા ભવન જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં કાર્યરત થઇ જશે. હાલમાં અહીં આશરે 57 દ્રષ્ટિહિન વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. સિનિયર સેકન્ડરીના વિદ્યાર્થીઓને હાલમાં નિઃશુલ્ક કમ્પ્યુટર તાલીમ અને પ્રેક્ટિસ આપવામાં આવે છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં દિવ્યાંગો માટે 4% અનામત છે. કેમ્પસ બહારના ગ્રેજ્યુએટ અને પોસ્ટ-ગ્રેજ્યુએટ દ્રષ્ટિહિન વિદ્યાર્થીઓને પણ ટેક્નિકલ શિક્ષણ આપવાની યોજના છે, જોકે આ માટે ફી લેવામાં આવશે કે નહીં તે અંગે હજી નિર્ણય બાકી છે. જ્યાં સમાજમાં ખાસ જરૂરિયાત ધરાવતા બાળકોને અવારનવાર અવરોધોનો સામનો કરવો પડે છે. આ સંસ્થા માત્ર શિક્ષણ નથી આપી રહી, પરંતુ આત્મવિશ્વાસ, ગૌરવ અને સંભાવનાથી ભરેલું ભવિષ્ય ઘડે છે. વિદ્યાર્થીઓ જગા ઓળખી શકે માટે દીવાલો પર ખાસ સ્ટ્રક્ચરઆ શાળા સંપૂર્ણ રીતે પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગોને ઉપયોગી થાય તે પ્રમાણે બનાવાઇ છે. દિવાલો પર ખાસ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓ સ્પર્શ દ્વારા જગ્યાની ઓળખ કરી શકે. વર્ગખંડોથી લઈને કોરિડોર સુધી, દરેક વ્યવસ્થા સુરક્ષા અને સરળ અવરજવર ધ્યાનમાં રાખીને રચવામાં આવી છે. કેમ્પસમાં ધોરણ 1થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડો, હોસ્ટેલ અને ભોજનની સંપૂર્ણ સુવિધા એક જ પરિસરમાં ઉપલબ્ધ છે. વર્ગખંડો વચ્ચે હરિયાળી, લીલું ઘાસ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, જે વધુ ઓક્સિજન પૂરું પાડે છે અને પર્યાવરણમિત્ર, શાંત વાતાવરણ સર્જે છે - ડો. જયંતિભાઇ પટેલ, સેક્રેટરી- સર્વિસ એસો. ફોર ધી બ્લાઇન્ડ

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am

પોલીસ એક્શન મોડમાં:થર્ટી ફર્સ્ટે હાઇરાઇઝ બિલ્ડિંગો પર ડ્રોનથી નજર

આગામી થર્ટી ફર્સ્ટની ઉજવણીના પગલે વલસાડ જિલ્લા પોલીસ એકશન મોડમાં આવી છે. પ્રોહિબિશન નિયમોનો ભંગ કરનારાને પાઠ ભણાવવા પોલીસ તંત્ર દ્વારા ખાસ એક્શન પ્લાન અમલમાં મૂકાયો છે. જેની ગાઇડલાઇનનો ચૂસ્ત અમલ કરવા માટે પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાએ જિલ્લાના તમામ પોલીસ મથકના અધિકારીઓને આ મામલે સૂચના જારી કરી છે. સંઘપ્રદશ દમણ, સેલવાસ તથા મહારાષ્ટ્ર રાજયની હદમાંથી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતાં વિવિધ માર્ગ ઉપર હાલમાં કાર્યરત 11 પોલીસ ચેક પોસ્ટો ઉપરાંત બીજી ખાસ 06 ચેક પોસ્ટો ઉભી કરવામાં આવી છે. 17 ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવા પોલીસે તૈયારી શરૂ કરી છે. આગામી 31મી ડિસેમ્બરના સેલિબ્રેશનને લઇ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેના ઉપર એસપીએ ખાસ ભાર મૂક્યો છે. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારો તથા હાઇરાઇઝ બિલ્ડિંગો ઉપર પણ ડ્રોન કમેરા દ્વારા સર્વેલન્સ કરાશે. 6 એજન્સી સતત કોમ્બિંગ, પેટ્રોલિંગ‎એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો તથા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને‎કર્મચારીઓ દ્વારા જિલ્લાના વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ,‎કલબ તથા હોટલોમાં પણ સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરશે. પોલીસ દ્વારા‎QRT, ડોગ સ્કવોડ, બીડીડીએસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં તથા દરિયા‎કાંઠામાં કોમ્બિંગ અને પેટ્રોલિંગ સતત કરશે.‎ વાહનચેકિંગ માટે 36 પોઇન્ટ કાર્યરત તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં અલગ અલગ જગ્યાઓએ વાહન ચેકિંગના 36 જેટલા પોઇન્ટો ગોઠવી સઘન વાહન ચેકિંગનું આયોજન કરાયું છે.સંઘ પ્રદેશ દમણ, સેલવાસ તથા મહારાષ્ટ્ર રાજય તરફથી દારૂની હેરાફેરી કરતાં તથા દારૂનું સેવન કરી ગુજરાતની હદમાં પ્રવેશતા વાહન ચાલકોની એનાલાયઝર મશીન દ્વારા ચકાસણી કરાશે. નશો કરી વાહન ચલાવનારા વાહનચાલકો વિરૂધ્ધ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કસો કરવાની કાર્યવાહી કરાશે . > યુવરાજસિંહ જાડેજા, એસપી

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am

મંડે પોઝિટીવ:મેડિકલ જગતમાં સિદ્ધિ વલસાડના ડૉ. કાંતિ પટેલને 100મી IMA NATCON 2025 એવોર્ડ

ચિકિત્સા જગત માટે ગૌરવની ક્ષણ રૂપે, વરિષ્ઠ તબીબ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સદસ્ય ડૉ. કાંતિ પટેલને અમદાવાદમાં યોજાયેલી બે દિવસીય 100મી IMA NATCON 2025 ખાતે બે પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરાયા છે. લેપ્ટોસ્પાયરોસિસ જેવી જીવલેણ અને જાહેર આરોગ્યની દ્રષ્ટિએ મહત્વની ચેપજન્ય બીમારીના નિદાન, વ્યવસ્થાપન તથા ક્લિનિકલ જાગૃતિ માટે તેમના અગ્રગણ્ય અને સતત યોગદાન બદલ ડૉ. પટેલને એપ્રિસિયેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ખાસ કરીને એન્ડેમિક વિસ્તારોમાં આ રોગની વહેલી ઓળખ, અસરકારક સારવાર અને તબીબોમાં જાગૃતિ વધારવામાં તેમનું કાર્ય મહત્વપૂર્ણ સાબિત થયું છે. આ ઉપરાંત ડૉ. પટેલને IMA CGP ગુજરાત ક્વિઝ ચેમ્પિયન એવોર્ડ પણ આપવામાં આવ્યો, જે તેમની ઉત્તમ શૈક્ષણિક ક્ષમતા, સતત ચિકિત્સા શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને પુરાવા આધારિત ક્લિનિકલ પ્રેક્ટિસમાં સક્રિય ભાગીદારીનું પ્રતિબિંબ છે. ડો.પટેલને આ પુરસ્કારો IMA NATCONના શતાબ્દી સંસ્કરણ દરમિયાન અર્પણ કરવામાં આવ્યા હતા. જે એક ઐતિહાસિક રાષ્ટ્રિય પરિષદ છે, જેમાં દેશભરના તબીબો, શૈક્ષણિકજ્ઞો, સંશોધકો અને આરોગ્ય ક્ષેત્રના નેતાઓએ ચિકિત્સા વિજ્ઞાન અને જાહેર આરોગ્યમાં થયેલી પ્રગતિ પર ચર્ચા કરી.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am

ભાસ્કર એક્સક્લુસિવ:કોંગ્રેસ સ્થાપના દિવસની ઉજવણી માટે કાર્યાલયમાં 5 જણા માંડ ભેગા થયા, ખુદ જિલ્લા પ્રમુખ પણ ગેરહાજર

કોંગ્રેસની સ્થાપના અને 140 વર્ષ પૂર્ણ થયા છે અને 141 માં સ્થાપના દિવસની દેશભરમાં ઉજવણી કરાઈ હતી પરંતુ અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય માત્ર પાંચ કાર્યકરોએ ભેગા થઈ ફોટા પડાવી ઉજવણી કરી નાખી હતી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કોઈ સ્થળે આ ઉજવણીના કાર્યક્રમમાં ડોકાયાના હતા. અમરેલી જિલ્લામાં આમ પણ કોંગ્રેસ મૃતપાય અવસ્થામાં છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત મોટાભાગનો સમય સુરતમાં રહે છે અને પોતાના ધંધામાં વ્યસ્ત હોય છે જ્યારે પાછળ અહીં અમરેલી જિલ્લામાં પ્રદેશ કે રાષ્ટ્રીય કક્ષાએથી આપવામાં આવતા કાર્યક્રમો કે ઉજવણી માત્ર ફોટા પડાવવા માટે થતી હોય તે રીતે કરી નાખવામાં આવે છે. આજે કોંગ્રેસના 141 માં સ્થાપના દિવસની ઉજવણી પણ આ જ રીતે કરાઈ હતી સામાન્ય રીતે કોંગ્રેસ કાર્યાલય આમ પણ બે પાંચ કાર્યકરો હાજર હોય છે આજે પાંચ કાર્યકરોએ ફોટા પડાવી ઉજવણી કરી નાખી હતી અને તેનો રિપોર્ટ ઉપર પ્રદેશ કક્ષાએ મોકલાવી દીધો હતો અમરેલીમાં આ ઉજવણીમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શાંતિલાલ રાણવા, એડવોકેટ સંદીપ પંડ્યા પ્રમુખ અમરેલી શહેર, નરેશભાઈ અધ્યારુ, પ્રહલાદભાઈ સોલંકી અને માલાભાઈ બથવાર હાજર હતા. સાવરકુંડલામાં પણ ગણ્યા ગાંઠ્યા કાર્યકરો વચ્ચે ઉજવણી કરાઈ હતી.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am

યોગ પ્રતિનિધિમંડળે રાજ્યકક્ષાના મંત્રીઓને કરી રજૂઆત:અમરેલી જિલ્લાની શાળાઓમાં યોગ શિક્ષકોની કાયમી ભરતી કરવા માંગ

અમરેલી જિલ્લા સહિત ગુજરાત રાજ્યની સરકારી શાળાઓ અને શિક્ષણ સંસ્થાઓમાં યોગ વિજ્ઞાનનો પાયો વધુ મજબૂત કરવાના ઉમદા હેતુ સાથે ઇન્ડિયન યોગીની એસોસિએશન ગુજરાત ચેપ્ટર દ્વારા એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરાયું છે. જેમાં એસોસિએશનના અધ્યક્ષ કામિનાબેન પટેલના નેતૃત્વમાં એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે રાજ્ય સરકારના મંત્રીઓની રૂબરૂ મુલાકાત કરી યોગ શિક્ષકોની કાયમી ભરતી માટે ધારદાર રજૂઆત કરી હતી. પ્રતિનિધિ મંડળના યોગાચાર્ય પિન્ટુભાઈ સંઘાણી, પ્રકાશભાઈ, પંકજભાઈ, અજયભાઈ, વિદ્યાબેન તેમજ કિન્નરીબેને રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજા અને કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા સાથે રૂબરૂ મળીને સઘન ચર્ચા કરી હતી. મંત્રી સાથેની બેઠકમાં લાયકાત ધરાવતા હજારો યોગ શિક્ષકોના હિતમાં કાયમી નીતિ ઘડવા અને શૈક્ષણિક માળખામાં યોગને અનિવાર્ય સ્થાન આપી સત્વરે ભરતી પ્રક્રિયા શરૂ કરવાની માંગ પર ભાર મૂક્યો હતો. મંત્રીઓએ આ મામલે અત્યંત સંવેદનશીલ અને સકારાત્મક અભિગમ દાખવતાં વિશ્વાસ અપાવ્યો હતો કે આગામી બેઠકમાં સંબંધિત અધિકારીઓ સાથે પરામર્શ કરી એક નક્કર પોલિસી તૈયાર કરાશે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am

ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત:શીરવાણીયા ગામે પંચાયત ભવનના નિર્માણથી સરકારી યોજનાના લાભો સરળતાથી મળી રહેશે

બાબરા તાલુકાના શીરવાણીયા ગામમાં આજે સ્થાનિક ધારાસભ્યના હસ્તે નવા પંચાયત ભવનના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત વિધિવત્ રીતે પૂર્ણ થયું હતું. શીરવાણીયા ગામે વર્ષોથી એક સુવિધાસભર, આધુનિક અને સુવ્યવસ્થિત પંચાયત ભવનની જરૂરિયાત અનુભવી હતી. નવું પંચાયત ભવન બનવાથી ગ્રામ પંચાયતની તમામ કામગીરી વધુ કાર્યક્ષમ થશે, લોકો માટે સરકારી યોજનાઓ અને સેવા મેળવનામાં સુવિધા અને પારદર્શિતા વધશે, ગામના વિકાસ સંબંધિત બેઠક, આયોજન અને તાલીમ માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે, ગામજનોને દૈનિક પ્રશાસન સંબંધિત કામગીરી માટે એક જ છત નીચે સુવિધા મળશે. અહીં પંચાયત ભવનના નિર્માણ માટે થોડા સમય પહેલા જ રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રસંગે જીલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સભ્ય, તાલુકા ભાજપના પ્રમુખ, તાલુકા ભાજપના મહામંત્રી, ગામના સરપંચ, ગામના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am

માર માર્યો:સાવરકુંડલામાં ફોલ્ટ કચેરીએ ઘસી જઈ બે ખેડૂતે વીજ કર્મીને પાઇપ વડે માર માર્યો

સાવરકુંડલામાં વીજ કંપનીની ફોલ્ટ કચેરીમા ધસી જઈ બે ખેડૂતોએ પોતાના વાડીનો ફોલ્ટ રિપેર કરવા દબાણ કરી વીજ કર્મચારીને પાઇપ, ટિફિન અને રોડ વડે માર મારી ફરજમાં રૂકાવટ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. વીજ કર્મચારી પર હુમલાની આ ઘટના ગઈકાલે સાંજે આઠેક વાગ્યાના સુમારે અહીંની પીજીવીસીએલ કચેરીમાં બની હતી. અહીં ફરજ બજાવતા મોહનભાઈ મૂળજીભાઈ વાળા (ઉં. વ. 54 ) નામના કર્મચારી ફરજ પર હાજર હતા ત્યારે સાવરકુંડલાના પ્રફુલ બાબૂ વિરાણી નામના ખેડૂતે પોતાના મીટરમાં વીજ પ્રવાહ આવતો ન હોવાનો ફોલ્ટ લખાવ્યો હતો અને અત્યારે જ ફોલ્ટ રિપેર કરવા માંગણી કરી હતી. મોહનભાઈએ આ ફોલ્ટ અત્યારે રિપેર થશે અથવા સોમવારે રિપેર થશે તેવો જવાબ આપતા પ્રફુલ વિરાણી ઉશ્કેરાઈ ગયો હતો. બાદમાં આ શખસે એક અન્ય વ્યક્તિને લઈ વીજ કચેરીએ પહોંચ્યો હતો અને ત્યાં મોહનભાઈને ટિફિન અને ડીઓના રોડ વડે માર્યો હતો. બંને શખ્સોએ તેને પાઇપ વડે પણ માર મારી ઈજા પહોંચાડી હતી અને ફરજમાં રૂકાવટ કરી હતી. જેને પગલે તેમણે બંને સામે સાવરકુંડલા શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am

ગોઝારો અકસ્માત સર્જાયો:ચમારડી બાબરા રોડ પર કાર ‎, બાઈકની ટક્કરમાં વૃદ્ધનું મોત‎

બાબરા તાલુકાના ચમારડી ગામે રહેતા એક વૃદ્ધ પોતાના ખેત મજૂરો માટે ચા ખાંડ આપવા વાડીએ જઈ રહ્યા હતા ત્યારે તેમના મોટરસાયકલ સાથે એક કાર ચાલકે અકસ્માત સજતાં તેમનું મોત થયું હતું. અકસ્માતની આ ઘટના ગઈકાલે સવારે બાબરા ચમારડી રોડ પર લુણકી તરફ જવાના કાચા રસ્તા પાસે બની હતી. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે ચમારડી ગામના ભીખાભાઈ સોજીત્રા )ઉં. વ. 65) નામના વૃદ્ધ પોતાનું મોટરસાયકલ લઈ વાડીમાં કામ કરતા ખેત મજૂરોને ચા ખાંડ અને દૂધ આપવા જવા માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે લુણકી તરફ જવાના કાચા રસ્તા પાસે પહોંચ્યા ત્યારે અહીંથી પૂરપાટ ઝડપે જતી કાર નંબર જીજે 18 જીબી 0287ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ભીખાભાઈ સોજીત્રાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેના કારણે તેમનું મોત થયું હતું. અકસ્માત સર્જી કારચાલક નાસી છૂટ્યો હતો. મૃતક વૃદ્ધની લાશને બાબરા દવાખાને ખસેડાઈ હતી. બનાવ અંગે મૃતક ભીખાભાઈના સુરત ખાતે રહેતા પુત્ર કલ્યાણભાઈ સોજીત્રાએ અકસ્માત સર્જી નાસી ગયેલા કાર ચાલક સામે બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બનાવના પગલે ચમારડી બાબરા રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક જામને ખુલ્લો કરાવ્યો હતો. બનાવના પગલે નાના એવા ગામમાં ભારે ચકચાર મચી છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am

અકસ્માત:ધારીના દેવળા ખીચા રોડ પર રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત : સાતને ઇજા

જૂનાગઢનો એક પરિવાર જાફરાબાદના લુણસાપુરમાં સામાજિક પ્રસંગ પતાવી પરત આવતો હતો ત્યારે ધારીના ખીચા દેવળા રોડ પર રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક બાળકીનું મોત થયું હતું. જ્યારે સાત વ્યક્તિને ઇજા પહોંચી હતી. અકસ્માતની આ ઘટના ધારીના દેવળા ગામથી ખીચા તરફ જતા રસ્તે ચાર કિમી દૂર ગઈકાલે સાંજે 7:30 વાગ્યાના સુમારે બની હતી. વેરાવળના વાલ્મીકિનગરમાં રહેતા બાબુભાઈ રમેશભાઈ પરમાર (ઉં. વ. 40 )નામના યુવાને આ બારામાં કાર નંબર જીજે 01 આરકે 3466ના ચાલક સામે ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે તેમના પત્ની દમુબેન તથા બાળકો જતીન અને ઈશા ઉપરાંત સસરા દેવશીભાઈ જેઠવા સહિત 11 લોકો જુનાગઢથી રિક્ષા લઈ સામાજિક પ્રસંગ માટે લુણસાપુર ગામે ગયા હતા અને ગઈ સાંજે ત્યાંથી પરત જુનાગઢ જવા માટે નીકળ્યા હતા. તેમની રીક્ષા દેવળા નજીક પહોંચી ત્યારે અજાણી કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં તેમની દીકરી ઈશાનું મોત થયું હતું. જ્યારે અન્ય સાત વ્યક્તિને નાની મોટી ઇજા પહોંચી હતી. જે તમામ ઘાયલોને સારવાર માટે ધારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી કારચાલક નાસી છૂટ્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am

મંડે પોઝિટિવ:જામનગર જિલ્લામાં 14630 માટીના નમુનાઓ એકત્રિત : 8630 જમીનની ચકાસણી પુર્ણ કરાઈ

આજના આધુનિક યુગમાં તમામ ક્ષેત્રોમાં ટેકનિકલ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. ખેતી ક્ષેત્ર પણ હવે પરંપરાગત રીતોથી આગળ વધી આધુનિક ટેકનિક અપનાવી રહ્યું છે. જામનગર જિલ્લાના ખેડુતો પણ સમયની સાથે જાગૃત બની રહ્યા છે અને વધુ ઉત્પાદન તથા આવક મેળવવાના હેતુથી જમીનની ગુણવત્તા જાણવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં ભરી રહ્યા છે. ખેતીમાં યોગ્ય પાક, યોગ્ય ખાતર અને સંતુલિત પોષક તત્વોનો ઉપયોગ કરવા માટે જમીનમાં રહેલા પોષક તત્વોની ચકાસણી અતિ આવશ્યક બની છે. આ હેતુસર જામનગર જિલ્લાની જમીન ચકાસણી પ્રયોગશાળા દ્વારા સરકારની સોયલ કાર્ડ યોજના હેઠળ ચાલુ વર્ષ દરમિયાન મોટા પાયે કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપલબ્ધ માહિતી મુજબ, વર્ષ દરમિયાન કુલ 14,630 માટીના નમુનાઓ એકત્ર કરવામાં આવ્યા છે. આમાંથી અત્યાર સુધીમાં 8,630 જમીનની માટીના નમુનાઓની વિગતવાર ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે બાકીના નમુનાઓની પ્રક્રિયા પ્રગતિમાં છે. તો 103 ખેડુતોએ જમીન ચકાસણી માટે માટીના નમુનાઓ લઈ તેમજ નિયત કરેલી રૂ.15ની ફી ભરીને પોતાની જમીનની ચકાસણી કરાવી છે. તો 9 પાણીના નમુના સાથે ચકાસણી કરાવવામાં આવી છે. જમીન ચકાસણી દ્વારા જમીનમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, બોરોન, સલ્ફર, મેગેનીઝ, ઝિંક(જસત), મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફેરસ (લોહ), કોપર (તાંબું), મોલિબ્લેડમ, પોટેશિયમ પોષક તત્વોની માત્રા અંગે ખેડૂતોને સ્પષ્ટ માહિતી મળે છે. જેના આધારે તેઓ જરૂર મુજબ ખાતરનો ઉપયોગ કરી શકે છે, જેથી ખર્ચમાં ઘટાડો થાય અને પાકનું ઉત્પાદન વધે. આ સાથે જમીનની લાંબા ગાળાની ઉર્વરતા જાળવવામાં પણ મદદ મળે છે. ખેડૂતોમાં વધતી જાગૃતિને કારણે સોયલ કાર્ડ યોજનાનો લાભ લેતા ખેડૂતોની સંખ્યા સતત વધી રહી છે. ખેતી વિભાગ દ્વારા પણ ખેડૂતોને જમીન ચકાસણી માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અપનાવવાથી ખેતી વધુ નફાકારક બનશે અને ખેડુતોની આવકમાં નોંધપાત્ર વધારો થશે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am

ઢોરના ધીંગાણાથી મચી અફરા-તફરી:જામનગર શહેરના ભરચક્ક વિસ્તારમાં ભેંસનું ધીંગાણું, 4 વાહનો ઝપટે ચડ્યા

જામનગર શહેરના વાહનોથી ધમધમતા વિસ્તારમાં સવારમાં એક ભેંસ ધીંગાણે ચડી હોય તેમ ચાર જેટલા વાહનોને અડફેટે લેતાં વિસ્તારમાં અફડા-તફડી મચી ગઈ હતી. જામ્યુકોની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા ભેંસનું રેસ્કયુ કરાયું હતું. શહેરના પંચેશ્વર ટાવર વિસ્તાર વાહનોથી સતત ધમધમતો રહે છે. ત્યારે રવિવારે વહેલી સવારમાં એક ભેંસ ધીંગાણે ચડી હતી અને રોડ ઉપરથી પસાર થતાં ચાર જેટલા વાહનોને અડફેટે લેતાં ચાલકો વાહન સાથે પટકાયા હતા. શરીરે નાની ઈજાઓ પહોંચી હતી. ઉછળ કુદ કરતી ભેંસને જોઈને થોડીવાર માટે અફડા-તફડી મચી જવા પામી હતી. આ દરમિયાન કોઈએ જામ્યુકોની એસ્ટેટ શાખાની રખડતા પશુઓને પકડતી ટીમને જાણ કરી હતી. જેથી ટીમ દ્વારા સ્થળ પર પહોંચી ગઈ હતી અને એક શેરીમાં ઘુસી ગયેલી ભેંસનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. ભેંસ પકડાઈ જતાં લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. ભેંસને મહાનગરપાલિકાના પશુ આશ્રયસ્થાનમાં ખસેડવામાં આવી હતી. ભાસ્કર ઇનસાઇડમાલિકાના પશુઓનો પણ આતંક વધ્યો શહેરમાં રખડતા પશુઓનો વધતા આતંકથી જામ્યુકો તંત્ર થોડા મહિનાઓ પહેલા માલિકીના પશુઓને શહેરથી બહાર લઈ જવા માટે કામગીરી હાથ ધરી હતી. જે અંગે વિરોધ પણ ઉઠ્યો હતો. જે બાદ કામગીરી બંધ કરવામાં આવી છે. જે બાદ તંત્ર દ્વારા માલિકીના પશુઓને જાહેરમાં છોડનારા પશુપાલકો સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે આજે કોઈ માલિકીની ભેંસે ધીંગાણે ચઢીને ચાર જેટલા ટુ-વ્હીલર વાહન ચાલકોને અડફેટે લીધા હતા.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am

ટાવર શોભાના ગાંઠિયા સમાન બન્યો‎:ક્રિકેટ બંગલા પાસે લાઈટ ટાવર બંધ રહેતાં વાહનચાલકોને હાલાકી

જામનગરના લાલ બંગલા નજીક કોર્ટ નજીક તંત્ર દ્વારા મોટો લાઈટનો ટાવર મૂકવામાં આવ્યો છે, જેનો હેતુ રાત્રિના સમયે માર્ગને પ્રકાશિત કરી વાહનચાલકો અને રાહદારીઓને સુવિધા આપવાનો હતો. પરંતુ આ લાઈટ ટાવર છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં હોવાથી તે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે. જેને કારણે લોકો ને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લાઈટો બંધ રહેતાં રાત્રિના સમયે આ વિસ્તારમાં અંધકાર છવાઈ જાય છે, જેના કારણે ત્યાંથી પસાર થતાં લોકો, ખાસ કરીને વાહનચાલકો અને પગપાળા ચાલતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અંધકારના કારણે અકસ્માતની શક્યતા પણ વધી રહી હોવાની ફરિયાદો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરી લાઈટ ટાવર મૂકવામાં મૂકવામાં આવ્યો હોવા છતાં તેની યોગ્ય દેખરેખ અને જાળવણીના અભાવે તેનો કોઈ લાભ મળી રહ્યો નથી. લોકોએ તંત્રને તાત્કાલિક ધ્યાન આપી લાઈટ ટાવરની લાઈટો ફરી શરૂ કરવાની માંગ કરી છે, જેથી કોર્ટ વિસ્તાર સહિત આસપાસના માર્ગો પર સલામતી બની રહે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am

જામનગરના મહેમાન બન્યા અનિલ અંબાણી:રિલાયન્સમાં અનિલ અંબાણીનું જામનગર એરપોર્ટ ખાતે આગમન

જામનગરના રિલાયન્સમાં વનતારાના નિર્માણ કરાયા બાદ બોલિવુડ હસ્તીઓ, ફિલ્મી સિતારાઓ સહિતના અગ્રણીઓ જામનગરના મહેમાનો બને છે. ત્યારે આજે તા.28ના રિલાયન્સ ગૃપના સ્થાપક સ્વ.ધીરૂભાઈ અંબાણીના જન્મ જયંતિ અને થર્ટી ફર્સ્ટને લઈને સેલિબ્રિટીઓનું આગમન થઈ રહ્યું છે. શનિવારે ઈન્ટરનેટ સ્ટાર ઓરી, વીર પહારીયા, મિઝાન જાફરી, ખુશી કપુર આવી પહોંચ્યા હતા. ત્યારે રવિવારે સવારમાં સ્વ.ધીરૂભાઈ અંબાણીના નાના પુત્ર અનિલ અંબાણીનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થયું હતું. તેઓ રિલાયન્સ જવા માટે નિકળી ગયા હતા. જ્યારે આગામી થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં રિલાયનસમાં ફિલ્મી સિતારાઓ આવશે. જે અંગેની ચર્ચાઓ વહેતી થઈ છે. તો અમુક ફિલ્મી સિતારાઓની ઝલક જોવા માટે એરપોર્ટ નજીક સતત ચક્કર લગાવતા રહેશે. ઉલ્લેખનીય છેકે, છેલ્લા થોડા વર્ષોથી રિલાયન્સમાં થર્ટી ફસ્ટની ઉજવણી કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am

મુસાફરો આપે ધ્યાન:હાલારમાં આવાગમન કરતી ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વિવિધ ટ્રેનોના આગમન તથા પ્રસ્થાન સમયપત્રકમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. તા. 1- 1- 2026 થી અમલમાં આવનાર આ નવા ટાઈમ ટેબલ મુજબ હાપા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સ્ટેશન પર આવાગમન કરતી કેટલીક ટ્રેનો પોતાના વર્તમાન સમય કરતાં 5 મિનિટ કે તેથી વધુ વહેલી આવશે. રામેશ્વરમ–ઓખા એક્સપ્રેસ 20 મિનિટ, પુરી–ઓખા એક્સપ્રેસ 15 મિનિટ અને દેહરાદૂન–ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ 12 મિનિટ વહેલી રાજકોટ પહોંચશે. આ ઉપરાંત મડગાંવ–કાપા એક્સપ્રેસ, દિલ્હી સરાય રોહિલ્લા–રાજકોટ એક્સપ્રેસ તથા મુંબઈ સેન્ટ્રલ–કાપા દુર્લભ એક્સપ્રેસ 5 મિનિટ વહેલી પહોંચશે. તેમજ તિરુવનંતપુરમ–વેરાવળ એક્સપ્રેસ અને એર્નાકુલમ–ઓખા એક્સપ્રેસ 7 મિનિટ, બાંદ્રા ટર્મિનસ–જામનગર હમસફર 6 મિનિટ અને બિલાસપુર–ઓખા તેમજ નાથદ્વારા–ઓખા એક્સપ્રેસ 12 મિનિટ વહેલી આવશે. શ્રી માતા વૈષ્ણોદેવી કટર–જામનગર અને કટર–કાપા એક્સપ્રેસ તો 27 મિનિટ જેટલી વહેલી પહોંચશે. ટ્રેનનો સમય અહીંથી જાણો ટ્રેનો તેના અગાઉના સમય કરતા 2 થી લઈને 20 મિનિટ મોડી અને વહેલી આવશે. જેથી રાજકોટ ડિશ્ચવઝનના ઓખા, દ્વારકા, ખંભાળિયા , જામનગર, હાપા, રાજકોટ, ભક્ક્તનગર, વાંકાનેર, રેલવે દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવે છે કે કૃપા કરીને નવા ટાઇમ ટેબલ મુજબ મુસાફરી કરતી વખતે રેલવે પૂછપરછ 139, અથવા વેબસાઇટ www.wr.indianrailway s.gov.in પર મુલાકાત લઇ માહિતી મેળવવા અનુરોધ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am

રમત ગમત:ભાઇઓ માટે કબડ્ડી, 200 મીટર સહિત બહેનો‎માટે ખોખો, લાંબા કૂદકા સહિતની સ્પર્ધા યોજાઇ‎

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલય હેઠળ કાર્યરત મેરા યુવા ભારત દ્વારા જેપીએસ સ્કૂલ કાલાવડમાં બ્લોક સ્તરીય ખેલ કુદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ભાઈઓ તથા બહેનોનું અલગ અલગ રમતો યોજાઇ હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરાયું હતુ તેમજ આવેલા મંચસ્થ મહેમાનોને મુમેટોથી સ્વાગત કરાયું હતું. કાર્યક્રમમાં ભાઈઓ માટે કબડી, 200 મીટર દોડ તેમજ લાંબો કૂદકો તથા બહેનો માટે ખોખો, 200 મીટર દોડ અને લાંબા કૂદકાનું આયોજન કરાયું હતું. વિજેતા ખેલાડીઓને મેરા યુવા ભારત જામનગર દ્વારા ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે જેપીએસ સ્કુલના આચાર્ય દોંગા તેમજ શાળા સ્ટાફે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું માર્ગદર્શન મેરા યુવા ભારત જામનગરના જિલ્લા યુવા અધિકારી સ્વરૂપ દેશભ્રતાર દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am

શિક્ષણ મંત્રીએ લંગર પ્રસાદમાં સેવા આપી:જામનગરમાં ગુરૂદ્વારા પાસે વીર બાળ દિવસની‎ઉજવણીમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જોડાયા‎

જામનગરમાં ગુરૂદ્વારા નજીક નવા ફલાય ઓવરબ્રિજ નીચે વીર બાળ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અને ગુરૂ ગોવિંદસિંઘજીના સાહિબઝાદાઓના બલિદાનને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જેમાં ચોથા દિવસે પણ પ્રચંડ જન સમર્થન મળ્યું હતું. ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અને જામનગરના 78-વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજા તથા અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, નગરના મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશિષ જોષી, લોહાણા અગ્રણી ઉદ્યોગપતિ મિતેશભાઇ લાલ તેમજ શહેર ભાજપના અન્ય કોર્પોરેટરો, હોદ્દેદારો કાર્યકરો વગેરે પણ બાલ દિવસની ઉજવણીમાં સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં સર્વે મહાનુભાવોએ ઉપસ્થિત રહી સાહીબઝાદાઓના બલિદાનની ડોક્યુમેન્ટરી નિહાળી હતી તેમજ વીર બાળકો સાથે સેલ્ફી પણ પડાવી હતી. મંત્રી રિવાબા સહિતના અગ્રણીઓએ સનાતન સંસ્કૃતિની રક્ષા કાજે ગુરૂ ગોવિંદસિંઘજીના બલિદાન તેમજ તેઓના સાહિબઝાદાઓના બલિદાનનો સમગ્ર ઇતિહાસ જામનગર શહેર-જિલ્લાની જનતાને પ્રદર્શિત કરવા માટે સમગ્ર ગુરૂદ્વારા કમિટીને બિરદાવી હતી. જામનગરના ગુરૂદ્વારા કમિટી દ્વારા કાર્યક્રમ પ્રતિદિન સાંજે 7 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી અવિરત ચાલુ રાખવામાં આવ્યો હતો તેમજ સાથે દૂધની લંગર પ્રસાદીનું વિતરણ કરવામાં આવતું હતું. શિક્ષણ મંત્રીએ લંગર પ્રસાદમાં સેવા‎આપ્યા બાદ પ્રસાદ ગ્રહણ કર્યો હતો‎જામનગરના ગુરૂદ્વારામાં એક સપ્તાહ હતી વીર બાલ દિવસની ઉજવણી થઈ રહી હતી ત્યારે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા જોડાયા હતા અને ડોક્યુમેન્ટ્રી નિહાળ્યા બાદ સેલ્ફી પડાવી હતી. બાદમાં ગુરૂદ્વારામાં લંગર પ્રસાદનું આયોજન કરાયું હતું, જ્યાં તેઓ જોડાયા હતા અને તમામ ભક્તોને લંગરપ્રસાદમાં પ્રસાદીનું વિતરણ કરીને સેવા આપી હતી અને તમામની સાથે તેઓએ પણ કતારમાં બેસીને લંગર પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am

સિદ્ધિ:જામનગરના 13 વર્ષના ક્રિકેટરે 100 થી વધુ ટ્રોફી પોતાને નામ કરી

જામનગર શહેરના ગુરુદ્વારા નજીક રહેતા હસિત હાર્દિકભાઈ ગણાત્રા અલગ અલગ ટુર્નામેન્ટ અને સ્પર્ધામાં ભાગ લઈ ને 100 વધારે ટ્રોફી સર્ટિફિકેટ અને મેડલ ઓફ પોતાના નામ કર્યા છે આ સાથે જ ભવિષ્યમાં ભારતીય ક્રિકેટ ટીમ નો ભાગ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેના પિતા એ જણાવ્યું હતું કે નાનપણથી જ હસિત ને ક્રિકેટનો શોખ છે અને અત્યાર સુધી જામનગરમાં તેમજ વિવિધ શહેરોમાં રમાતી અનેક ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે જેમાં તેને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને નાના મોટા ખિતાબો પોતાને નામ કર્યા છે તાજેતરમાં જ જામનગર પ્રીમિયર લીડમાં પણ તેણે ભાગ લીધો હતો અને તેમાં પણ તે મેન ઓફ ધ મેચનો રહ્યો હતો. મોટાભાગની ટુર્નામેન્ટમાં તેને કેપ્ટન તરીકેની ભૂમિકા પણ ભજવી છે. ક્રિકેટ ક્ષેત્રમાં પોતાની ઉજ્જ્વળ કારકિર્દી બનાવવાની દૃઢ મહેનત પણ કરી રહ્યો છે. રજાના દિવસોમાં તે લગભગ 12 કલાક ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે, જ્યારે સામાન્ય દિવસોમાં પણ છથી સાત કલાક નિયમિત અભ્યાસ કરે છે.તેનું સ્વપ્ન ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવી દેશનું પ્રતિનિધિત્વ કરવાનો છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am

મંદિરમાં ચોરી:ટોડા ગામમાં 2 મંદીરોમાં તસ્કરી, રોકડ ઉસેડી ગયા

કાલાવડ તાલુકાના ટોડા ગામમાં બે મંદીરોમાં તસ્કરો ત્રાટકીને દાનપેટીમાંથી રોકડ રૂપિયા ચોરી કરી જઈ તેમજ સીસી ટીવી કેમેરાની તોડફોડ કરીને નુકશાન કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ટોડા ગામમાં આવેલા ખોડીયાર માતાજીના મંદીરમાં ગત તા.26ના સમીસાંજના તસ્કરો ચોરી કરવાના ઈરાદે ઘુસ્યા હતા, અને સીસી ટીવી કેમેરાના બોક્ષમાં તોડફોડ કરી હતી. જ્યારે રામદેવપીરના મંદીરમાં પણ તસ્કરો ત્રાટકીને દાનપેટીમાંથી આશરે રૂ.2000ની ચોરી કરીને નાશી છુટ્યા હતાં. બનાવ અંગેની ગામ લોકોને જાણ થતાં એકઠા થઈ ગયા હતા. આ અંગેની ટોડા ગામના અને હાલ રાજકોટ રહેતા પરેશભાઈ બાબુભાઈ નશીતએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પીએસઆઈ સી.બી.રાંકજા સહિતનો સ્ટાફ ટોડા ગામે પહોંચી ગયા હતા. ગામમાં આવેલા સીસી ટીવી કેમેરાઓ ચેક કરવામાં આવ્યા હતા. તેમજ કોઈ પરપ્રાંતિય શખસો હોવાની આશંકાએ તપાસનો ધમધમાટ આદર્યો છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am

કરુણાંતિકા સર્જાઈ:જામનગર નજીક રીક્ષાની પલ્ટી, દોઢ વર્ષના બાળકનું મોત

જામનગર-રાજકોટ હાઈવે પર હાપાના ઢાળીયા પાસે રોડ ઉપર રીક્ષા પલ્ટી ખાઈ જતાં માતા-પિતા અને પુત્રને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા. જ્યાં દોઢ વર્ષના પુત્રનું મોત નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. શહેરના સ્વામી નારાયણનગર સોનાપુરી પાછળ, મામાસાહેબના મંદીરની બાજુમાં રહેતા અને મધ્યપ્રદેશના વતની શેરસિંહ સમરૂભાઈ વાસ્કેલા (ઉ.વ.27) નામના યુવાન અને તેમની પત્ની જેતરીબેન અને દોઢ વર્ષનો પુત્ર રાજવીર ગત તા.20ના રોજ ધુંવાવ ગામની ગોલાઈ પાસેથી સીએનજી રીક્ષામાં બેસીને ઘરે આવવા માટે નિકળ્યા હતા. ત્યારે જામનગર-રાજકોટ હાઈવે રોડ હાપાના ઢાળીયા પાસે પહોંચતા રીક્ષા ચાલકે પોતાના કબજાની રીક્ષા પુરઝડપે ચલાવીને સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં દોઢ વર્ષના બાળક રાજવીરને માથામાં, કપાળના ભાગે તેમજ જમણી આંખની બાજુમાં અને પેટના ભાગે તેમજ પડખાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને શેરસિંહને શરીરે સામાન્ય ઈજા તેમજ તેમની પત્ની જેતરીબેનને હોઠના ભાગે તેમજ મોઢાના ભાગે છોલછાલની સામાન્ય ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન દોઢ વર્ષના બાળકનું મોત નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. આ બનાવ અંગે શેરસિંહ વાસ્કેલાએ રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am

ભાસ્કર એનાલિસિસ:ફૂડ એનાલિસ્ટમાં ભરતી, 22 જાન્યુ. સુધી અરજી થઇ શકશે

ફૂડ એનાલિસ્ટ્સની માંગ સતત વધી રહી છે. કડક ખાદ્ય સુરક્ષા કાયદાઓ, પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડ ઉદ્યોગના ઝડપી વિસ્તરણ અને FSSAI દ્વારા વધેલી દેખરેખ તેના મુખ્ય કારણ છે. 2025-26 સુધીમાં સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં ફૂડ એનાલિસ્ટ, ફૂડ ટેસ્ટિંગની વધતી માંગને ધ્યાનમાં રાખીને, FSSAI એ 11મી ફૂડ એનાલિસ્ટ પરીક્ષા માટે માર્ગદર્શિકા જારી કરી છે. આ પરીક્ષામાં ઓનલાઇન અરજી તારીખ 22 જાન્યુઆરી સુધીમાં થઇ શકશે અને 8 માર્ચના રોજ પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષામાં રસાયણશાસ્ત્ર, ડેરી રસાયણશાસ્ત્ર, માઇક્રોબાયોલોજી, ફૂડ સેફ્ટી અને કૃષિ વિજ્ઞાન સહિતના 14 વિષયોમાં UG, PG, અથવા PhD ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ પરીક્ષામાં પાત્ર છે. આ પરીક્ષા પહેલા પહેલા કમ્પ્યુટર આધારીત અને બાદમાં પ્રેક્ટિકલ લેવાશે. જેમાં કમ્પ્યુટર-આધારિત પરીક્ષા માટે ફી રૂપિયા 2500 અને પ્રક્ટિકલ પરીક્ષા માટેની 5 હજાર ફી રહેશે. આમ ફુડ એનાલિસ્ટની 2026માં ભરતી થનાર છે જેની પરીક્ષા 8 માર્ચના રોજ યોજાશે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am

રોલ ઓબ્ઝર્વરની સમીક્ષા બેઠક‎ મળી:કોઇપણ કારણોસર મતદાન યાદીમાં નામ રહી ગયુ હોય તેવી 3300 અરજી મળી

ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જે મતદારનુ ડ્રાફ્ટ યાદીમાં કોઇપણ કારણોસર નામ રહી ગયુ હોય ને જરૂરી પુરાવા રજૂ કરી નામ ઉમેરાવી શકે તેના માટે તંત્ર દ્વારા જિલ્લાના મતદાન મથકે 27 અને 28 ડિસેમ્બર બે દિવસ ખાસ કેમ્પનુ આયોજન કર્યુ હતુ. જેમાં ફોર્મ નં. 6, 6એ, 7, 8 સહિતના મળી કુલ 3300 અરજી આવી છે. જુનાગઢ જિલ્લાના રોલ ઓબ્ઝર્વર દિલીપ રાણાએ મતદાન મથકે કેમ્પની મુલાકાત લઇ ચુંટણી અધિકારી, કલેકટર, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં પક્ષોને ASD (ગેરહાજર, સ્થળાંતર, મૃત્યુ) યાદીમાં કોઈ વાંધા સૂચનો હોયતો ફોર્મ 6 અને ઘોષણાપત્ર ભરી મતદાર પોતાનું નામ આખરી મતદાર યાદીમાં નોંધાવી શકે છે તેમજ નો- મેપિંગ કેટેગરીના મતદારોને નોટિસ મળે ત્યારે ગણતરી ફોર્મના પાછળના ભાગમાં આપેલા કુલ 13 પૈકીના પુરાવા રજૂ કરે તેવી સમજ આપી હતી. જિલ્લામાં યોજાયેલ ખાસ કેમ્પમાં ફોર્મ નં. 6 - 1744, ફોર્મ નં. 6A - 1, ફોર્મ નં. 7 - 240 અને ફોર્મ નં. 8 - 1315 મળીને કુલ 3300 અરજીઓ મળી હતી. 3 અને 4 જાન્યુ.એ કેમ્પ યોજાશે તા.3 અને 4 જાન્યુઆરીએ પણ કેમ્પ યોજાનાર છે. જેમાં લોકો ડ્રાફટ મતદાર યાદીમાં પોતાનું નામ છે કે નહીં એની ચકાસણી, NO mapping તથા નામ, ઉમર વિસંગતતા ધરાવતી કેટેગરીના મતદારો પુરાવા જમા કરી શકશે, ફોર્મ નંબર 6,7,8 ભરી જમા કરી શકશે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am

પોલીસ કાર્યવાહી:ગાંધીધામનો શખ્સ પોલીસનો દેખાવ કરતા પકડાઇ ગયો

શહેરમાં શનિવારે રાત્રે એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વખતે ગાંધીધામમાં સેક્ટર-06, ગણેશનગરમાં રહેતો મૂળ ધોરાજીનો 39 વર્ષીય હિતેન્દ્ર પમાભાઇ ભાષ્કર નામનો શખ્સ જીજે 03 એનકે 8094 નંબરની કાર લઈને શહેરમાં સરદાર ચોક વિરમેઘમાયા ગેઇટની અંદરથી આવતા ડ્રાઇવરની આગળના ભાગે કાચમાં સ્પષ્ટ રીતે જોઇ, વંચાઇ શકાય તે રીતેનુ લાલ તથા બ્લુ કલરના બોર્ડમાં અંગ્રેજીમાં પોલીસ લખેલ બોર્ડ જોવામાં આવ્યું હતું. જેથી કાર રોકી શખ્સની પૂછપરછ કરતા પોતે પોલીસ રાજયસેવક તરીકે હોદો ધરાવતો ન હોય તેમ છતાં ખોટી રીતે પોલીસમાં હોવાનો દેખાવ કરવા પોતાની પ્રાઇવેટ કાર માં પોલીસનુ બોર્ડ લગાવ્યું હોવાનું જણાવતા તેના વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am

મુસાફરોમાં પ્રસરી રાહત:બાંટવા–ગોધરા રૂટ પર નવી ‘ગુર્જરનગરી’ બસ શરૂ કરાઈ

બાંટવા–ગોધરા રૂટ પર નવી ‘ગુર્જરનગરી’ બસો શરૂ કરવામાં આવી છે.જેથી મુસાફરોમાં રાહત પ્રસરી છે. ગુજરાત એસ.ટી. નિગમે વધુ એક નક્કર પગલું ભર્યું છે. આ અન્વયે બાંટવા એસ.ટી. ડેપો દ્વારા સંચાલિત બાંટવા–ગોધરા રૂટ પર નિગમ દ્વારા નવી ‘ગુર્જરનગરી’ બસો ફાળવી હતી જેનું લોકાર્પણ ધારાસભ્ય અરવિંદ લાડાણીની હાજરીમાં કરાયું હતું. ડેપો મેનેજર આશિષકુમાર રાજકોટીયાએ તમામ મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ લીલી ઝંડી આપી નવી બસોને રૂટ પર પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am

ગામ ગામની વાત:ધ્રાબાવડ ગામ વિકાસના પંથે અગ્રેસર છતાં સંખ્યાના અભાવે માધ્યમિક શાળા બંધ, વિદ્યાર્થીઓને હાલાકી

જૂનાગઢ જિલ્લાથી આશરે 35 કિલોમીટર દૂર અને નેશનલ હાઇવેથી માત્ર 10 કિમીના અંતરે આવેલું ધ્રાબાવડ ગામ આજે આધુનિક સુવિધાઓ અને ધાર્મિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આશરે 1300ની વસ્તી ધરાવતું આ ગામ 80 ટકા જેટલો ઊંચો સાક્ષરતા દર ધરાવે છે, જે ગ્રામીણ વિસ્તાર માટે સારી બાબત છે. બિલ્યા નદીના કાંઠે વસેલા આ ગામમાં માળખાગત સુવિધાઓનો વ્યાપ વધવા જઈ રહ્યો છે. ગામના અગ્રણી દીપકભાઈ બકોત્રાના જણાવ્યા અનુસાર, ગામમાં આવવા-જવા માટેની સરળતા રહે તે હેતુથી 1.20 કરોડ રૂપિયાના ખર્ચે નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ગામમાં હાલ સીસી રોડ, પીવાના પાણીની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ અને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. તથા રમતગમત પ્રત્યે રુચિ ધરાવતા યુવાનો માટે ગામમાં વિશાળ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પણ આવેલું છે. તેમજ ગામમાં શિવ મંદિર, સાંઈબાબા મંદિર, રામ મંદિર અને ખોડીયાર માતાજીના મંદિરની સાથે હજરત રાંગણશાહ પીરની દરગાહ પણ આવેલી છે, જે ગામની કોમી એકતાના પ્રતીક સમાન છે. આ ઉપરાંત અબોલ જીવોની સેવા માટે ગામમાં બે ગૌશાળા કાર્યરત છે. તેમ છતાં અગાઉ ગામમાં હાઈસ્કૂલ હતી, પરંતુ પૂરતી વિદ્યાર્થી સંખ્યા ન હોવાને કારણે તે બંધ કરવામાં આવી છે. હાલ ગામમાં માત્ર એક પ્રાથમિક શાળા અને આંગણવાડી કાર્યરત છે. હાઈસ્કૂલ બંધ થવાથી ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓએ કેશોદ કે જૂનાગઢ સુધી જવું પડે છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am

પરિણીતાને અપાયો ત્રાસ:‘અમારા કહ્યામાં રહેવું પડશે’ કહી પરિણીતાને સાસરિયાનો ત્રાસ

’અમારા કહ્યામાં રહેવું પડશે’ કહી પરિણીતાને સાસરિયાએ ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ જૂનાગઢ રહેતા પતિ સહિત 3 સામે થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. હાલ કેશોદ ખાતે પિયરમાં રહેતા 38 વર્ષીય જયશ્રીબેનએ જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર આવેલ વાઘેશ્વરી સોસાયટીમાં રહેતા પતિ હિતેશ રમેશભાઈ વોરા, સાસુ શોભનાબેન અને જસદણ રહેતા નણંદ રીમાબેન વૈભવભાઈ ઓઝા વિરુધ્ધ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના બીજા લગ્ન વર્ષ 2013માં હિતેશ વોરા સાથે થયા હતા અને પતિ, સાસુ, નણંદ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. લગ્નના 10-15 દિવસથી જ ’તારે અહીં રહેવું હોય તો અમારા કહ્યા મુજબ જ કરવું પડશે તું તારા પિતાના ઘરેથી કાંઈ લાવેલ નથી તને કાંઈ કામકાજ આવડતું નથી’ તેમ કહી અવારનવાર ઝઘડો કરતા હતા અને ઢીકાપાટુનો માર મારી માનસિક તથા શારીરિક દુઃખ ત્રાસ આપતા હતા. પરિણીતાની ફરિયાદ આધારે કેશોદ પોલીસે સાસરીયા વિરુદ્ધ કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am

પર્સ ચોરનાર ઝડપાઈ:માંગનાથ રોડ પરથી પર્સ ચોરનાર જેતપુરની મહિલાની અટકાયત

શહેરમાં માંગનાથ રોડ પર 12,000ની રોકડ સાથેના પર્સની ચોરી કરનાર જેતપુરની મહિલાની પોલીસે અટક કરી તપાસ હાથ ધરી હતી. દોલતપરા વિસ્તારમાં રહેતા મનિષાબેન ચરણભાઈ બોરીચા શુક્રવારે બપોરે તેના દેરાણી ગુલાબબેન સાથે માંગનાથ રોડ પર ખરીદી કરવા આવ્યા હતા. મસાલા વાળાની દુકાનની સામે આવેલ પર્સની દુકાને ખરીદી કરતા હતા ત્યારે મનિષાબેનના હાથમાં રહેલ કાપડની થેલીમાંથી રૂપિયા 12000ની રોકડ સાથેનું પર્સ નજર ચૂકવી ચોરી કરી અજાણ્યો શખ્સ નાસી ગયો હતો. ઘટના અંગે મહિલાએ ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી. પીઆઇ વી. જે. સાવજના માર્ગદર્શનમાં પીએસઆઇ વાય. એન. સોલંકી, એએસઆઇ ભદ્રેશ રવૈયાની ટીમે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પર્સ ચોરનાર મહિલા ચિત્તાખાના ચોકમાં હોવાની ટેકનિકલ તથા હ્યુમન સોર્સથી બાતમી મળતા જેતપુરમાં રહેતી 50 વર્ષીય કંચનબેન વડુભાઈ ચૌહાણ નામની મહિલાને ઝડપી પાડી હતી.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am

સુદામા મંદિરનો 127મો પાટોત્સવ યોજાયો:સુદામજીની મહાપૂજા, ધ્વજારોહણ, મંત્રોચ્ચાર સહિત વિવિધ આયોજન કરાયા

પોરબંદરના સુદામા મંદિરનો 127મો પાટોત્સવ યોજાયો હતો..જેમાં સુદામજીની મહાપૂજા,ધ્વજારોહણ, મંત્રોચ્ચાર સહિતના ધાર્મિક કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યકમમાં મોટી સંખ્યા શહેરીજનો જોડાયા હતા. સમગ્ર ભારતમાં એકમાત્ર પોરબંદરમાં સુદામા મંદિર આવેલ છે. આ સુદામા મંદિરનો ઇતિહાસ રહેલો છે તેમજ મંદિરના નવનિર્માણના 127 વર્ષ થયાં છે. આ મંદિર ખાતે દર વર્ષે પોષ સુદ આઠમના પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ પોષ સુદ આઠમના 127મો મંદિરનો પાટોત્સવ મુકુંદચંદ હરિદાસ લાખાણી તરફથી યોજવામાં આવશે.આ પાટોત્સવ કાર્યકમમાં સવારે મહાપૂજા,ધ્વજારોહણ અને વેદમંત્રો સાથે ગીતપાઠ સહિતના ધાર્મિક કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યકમમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.હરિદાસ કુરજી લાખાણી પરિવાર દ્વારા છેલ્લા 60 વર્ષથી પાટોત્સવ યોજવામાં આવે છે.આ કાર્યક્રમ ભાજપના જિલ્લા પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુદામા મંદિરનો થપ્પો પ્રવાસીઓ અનેરું મહત્વ સમગ્ર દેશમાં એકમાત્ર પોરબંદરમાં સુદામા મંદિર આવેલ છે.ત્યારે મારવાડી તેમજ રાજસ્થાન પંથકમાં અમુક સમુદાય દ્વારા સાત ધામની યાત્રામાં સુદામા મંદિરનો થપ્પો લાગ્યા બાદ જ તેમના ઘરમાં લગ્નપ્રસંગ યોજાઈ છે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am

ગામ ગામની વાત:ટુકડા મિયાણી ગામનો ક્રાઇમ રેટ ઝીરો : ભૂતકાળમાં આ ગામ ત્રણ વખત શિફ્ટ થયું હતું

પોરબંદરનું ટુકડા મિયાણી ગામ ગોકુળિયું અને રળિયામણું ગામ છે. આ ગામમાં સરપંચના જણાવ્યા મુજબ આ ગામ ત્રણ વખત શિફ્ટ થયેલ છે એટલે કે પહેલા આ ગામ દરિયા કાંઠે વસેલ હતું અને બાદ ધાર પર ગામ શિફ્ટ થયું હતું અને ત્યારબાદ આ ગામ મિયાણી જતા રોડ પર શિફ્ટ થયેલ છે. ભૂતકાળમાં રોગચાળાને કારણે ગામ શિફ્ટ થયું હોવાનું જાણવા મળે છે. નાના એવા ગામમાં 25 જેટલા નાના -મોટા મંદિર આવેલ છે. ગામમાં ગુરુ ગોરખનાથનો અખંડ ધુણો આવેલ છે, આ ઉપરાંત માત્રી માતાજી, ભગવતી માતાજી, આલબાઈ માતાજી, મોમાઈ માતાજી, સિકોતર માતાજી, ખોડિયાર માતાજીનું મંદિર તેમજ શિવ મંદિર, રામ મંદિર, વછરાજ મંદિર, રામદેવપીરનો દૂવારો સહિત નાના મોટા 25 મંદિર આવેલ છે. આ મંદિરોમાં કુટુંબના કુળદેવી માતાના મંદિરનો પણ સમાવેશ થાય છે. ભગવતી માતાના મંદિરે રહેવાની પણ સુવિધા છે. દશેરાના દિવસે હવન હોય ત્યારે મંદિરોમાં વિવિધ પરિવારના સભ્યો ભેગા થાય ત્યારે મેળા જેવો માહોલ બને છે. ગામના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલ છે. અહીં ગ્રામજનો હળીમળીને રહે છે અને દરેક તહેવારની સાથે મળીને ઉજવણી કરે છે. ક્રાઇમ રેટ ઝીરો છે. ગામમાં શું સુવિધા છે ? ટુકડા મિયાણી ગામમાં રોડ રસ્તા સારા છે અને ગલીઓ પેવર બ્લોકથી મઢેલ છે. ઘરે ઘરે પાણીના નળ કનેક્શન આપેલ છે અને પૂરતા પાણીની સુવિધા છે, સ્ટ્રીટ લાઈટો છે, નાના એવા ગામમાં 2 આંગણવાડી તેમજ સરકારી અને પ્રાઇવેટ સ્કૂલ આવેલ છે. ગામમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ છે અને હજુ ગામમાં વધુ વિકાસ કરવામાં આવશે. > રાજુભાઈ નવઘણભાઈ ઓડેદરા, સરપંચ, ટુકડા મિયાણી ગામ

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am

જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર કેમ્પનું આયોજન:મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત વિશેષ કેમ્પ કરાયો

પોરબંદર જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત તમામ મતદાન મથકો ઉપર કેમ્પ યોજાયો હતો.જેમાં મતદાનયાદી સુધારણા અંગેની કામગીરી કરવામાં આવી હતી. ભારના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત કુલ 12 રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જે અન્વયે તા.19/12/2025ના રોજ મુસદ્દા મતદારયાદીની પ્રસિધ્ધી કરવામાં આવી હતી તેમજ ઉક્ત મુસદ્દા મતદારયાદીમાં જે મતદારોના નામ કમી થયેલા છે તેવા મતદારોની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીની વેબસાઇટ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ ઉપર મુકવામાં આવ્યા છે. પ્રસિધ્ધ થયેલ મુસદ્દા મતદારયાદીમાં નોંધાયેલ મતદારો પૈકી જે મતદારો 2002ના વર્ષની મતદારયાદી સાથે લીંક થઇ શકેલ નથી તેવા મતદારોને નોટીસ તબક્કા દરમ્યાન નોટીસ આપવામાં આવશે. આ કાર્યક્રમ દરમ્યાન પોરબંદર જિલ્લાના મતદારો માટે જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર 27 અને 28 ડિસેમ્બરના વિશેષ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં દરમ્યાન BLO દ્વારા મતદારોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 3 અને 4 જાન્યુઆરીના પણ કેમ્પ યોજાશેપોરબંદર જિલ્લામાં ખાસ મતદારયાદી સુધારણા કાર્યકમ હેઠળ પોરબંદર જિલ્લાના તમામ મતદાર મથકો પર શનિ અને રવિવારે ખાસ કેમ્પ યોજાયો હતો ત્યારે આગામી 03 જાન્યુઆરી,04 જાન્યુઆરી 2026ના રોજ સમય: 10:00 થી 05:00 કલાક સુધી યોજાશે.

દિવ્ય ભાસ્કર 29 Dec 2025 4:00 am