SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

22    C
... ...View News by News Source

શંખેશ્વરમાં રેકર્ડમાં છેડછાડ કરી ફ્લેટ પચાવી પાડતાં FIR:ઓપરેટર-બિલ્ડરે સરકારી રેકર્ડમાં ફેરફાર કરી 3.50 લાખની છેતરપિંડી આચરી

પાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને સરકારી દસ્તાવેજોમાં છેડછાડ અંગે ફરિયાદ નોંધાઈ છે. શંખેશ્વર સબ રજીસ્ટ્રાર કચેરીના તત્કાલીન કોમ્પ્યુટર ઓપરેટર પ્રવિણ શંકર વણકર અને બિલ્ડર શીતલ શશીકાંત મહેતા સામે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી વીણાબેન અનિલકુમાર શાહ દ્વારા નોંધાવવામાં આવેલી વિગતો મુજબ, તેમણે વર્ષ 2016માં શંખેશ્વર-વિરમગામ હાઇવે પર આવેલી મણીભદ્ર રેસીડન્સીમાં મેસર્સ સમ્યક ડેવલોપર્સ પાસેથી ફ્લેટ નંબર E-304 રૂપિયા 3.50 લાખમાં ખરીદ્યો હતો. જોકે, ત્યારબાદ પ્રવિણ વણકર અને શીતલ મહેતાએ મળીને સરકારી રેકર્ડમાં ગેરકાયદેસર ફેરફાર કર્યા હતા. તેમણે ફરિયાદીના ફ્લેટ નંબર E-304 ને બદલીને F-304 કરી નાખ્યો હતો. આ છેડછાડ બાદ મૂળ ફ્લેટ E-304 અન્ય એક વ્યક્તિ સુમેરમલ ગંગાદાસજી સંઘવીને વેચી દેવામાં આવ્યો હતો, જેનાથી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હતી. આ સમગ્ર કૌભાંડ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે ફરિયાદી વર્ષ 2022માં પોતાના ફ્લેટ પર ગયા. ત્યાં તેમને અન્ય વ્યક્તિના નામનું વીજ મીટર જોવા મળ્યું. તપાસ કરતા જાણવા મળ્યું કે ઈન્ડેક્સ-2 માં ફરિયાદીની મંજૂરી વગર જ ફેરફાર કરી દેવામાં આવ્યા હતા. બિલ્ડર શીતલ મહેતાએ પોતાની ભૂલ સ્વીકારી રૂપિયા 3 લાખનો ચેક પરત આપ્યો હતો, પરંતુ તે બેંકમાં અપૂરતા બેલેન્સના કારણે બાઉન્સ થયો હતો. આખરે, કલેક્ટર પાટણના આદેશ બાદ શંખેશ્વર પોલીસે પ્રવિણ વણકર અને શીતલ મહેતા વિરુદ્ધ BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 10:19 am

ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર સીલ:31stની ઉજવણી પહેલાં નર્મદા પોલીસનું કડક ચેકીંગ; બૂટલેગરોમાં ફફડાટ

નવા વર્ષ એટલે કે '31st' ની ઉજવણીને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે નર્મદા પોલીસ એક્શન મોડમાં આવી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર આવેલી મુખ્ય ચેકપોસ્ટોને પોલીસ દ્વારા સીલ કરી દેવામાં આવી છે, જેના કારણે દારૂ ઘૂસાડવાની ફિરાકમાં રહેલા બૂટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ધનશેરા ચેકપોસ્ટ પર લોખંડી બંદોબસ્તનર્મદા જિલ્લા પોલીસ વડા (SP) વિશાખા ડબરાલની કડક સૂચના બાદ, સાગબારાની ધનશેરા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ અત્યંત સઘન બનાવી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાંથી આવતા નાના-મોટા તમામ વાહનોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક PSI જસવંત લટા અને તેમની ટીમ 24 કલાક સરહદ પર પહેરો ભરી રહી છે. નશેબાજો માટે 'બ્રેથ એનેલાઈઝર' તૈયારમાત્ર દારૂની હેરાફેરી જ નહીં, પણ જે યુવાનો મહારાષ્ટ્ર જઈને નશો કરીને ગુજરાતમાં પ્રવેશ કરે છે તેમની સામે પણ તવાઈ બોલાવવામાં આવી છે. પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોનું બ્રેથ એનેલાઈઝર થી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જો કોઈ પણ વ્યક્તિ નશો કરેલી હાલતમાં ઝડપાશે, તો તેની સામે સ્થળ પર જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરક્ષાના મુખ્ય ચક્રવ્યૂહ: જિલ્લા પોલીસ વડાનો આદેશનર્મદા SP વિશાખા ડબરાલે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, નવા વર્ષની ઉજવણીના ઓઠા હેઠળ કોઈ પણ પ્રકારના નશીલા પદાર્થનું સેવન કે હેરાફેરી ચલાવી લેવામાં આવશે નહીં. જે કોઈ પણ વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરશે તેની સામે કડક હાથે કામ લેવામાં આવશે. વિશાખા ડબરાલ (SP, નર્મદા)એ જણાવ્યું હતું કે, નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને ગુજરાતમાં દારૂ જેવો કોઈ કેફી પદાર્થ ન ઘૂસે તે માટે અમે સરહદી વિસ્તારોમાં સઘન ચેકિંગ શરૂ કર્યું છે. દરેક વાહન પર અમારી બાજ નજર છે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 10:16 am

વાયબ્રન્ટ રિજનલ સમિટમાં ડિફેન્સ એકસ્પોનું સંચાલન કરશે લઘુ ઉદ્યોગ ભારતી:રાજકોટમાં ટાટા-LT સહિતની કંપનીઓ ઉમટશે; સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો માટે 'ડિફેન્સ એક્સ્પો' આકર્ષણનું કેન્દ્ર

રાજકોટમાં જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહ દરમિયાન યોજાવા જઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ઔદ્યોગિક અને વ્યાવસાયિક વિકાસને નવી ઉડાન મળે તેવી આશા સેવાઈ રહી છે. ઉદ્યોગકારો અને વેપારીઓમાં આ સમિટને લઇ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વાયબ્રન્ટમાં લઘુઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર દ્વારા બે મહત્ત્વના સેમિનાર થકી રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને અગત્યનું માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં ડિફેન્સ એકસ્પોનું પણ ખાસ સંચાલન કરવામાં આવશે. ડિફેન્સ એક્સ્પો અને કોન્ફોરન્સમાં ભાગ લેવા માટે ટાટા, LT સહિત 10થી વધુ નામાંકિત કંપનીઓ તેમજ ડિફેન્સના અફસરો સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ભાગ લેનાર છે. જેને લઇ તડામાર તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. દેશ-વિદેશની મોટી મોટી કંપનીઓ આ વાયબ્રન્ટ સમીટમાં ભાગ લેશેલઘુઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશના મહામંત્રી હંસરાજ ગજેરાએ જણાવ્યું હતું કે, રાજકોટ વિવિધ ક્ષેત્રમાં ડેવલોપ થઇ રહ્યું છે. ઇન્ડસ્ટ્રીઓની શક્તિ વાયબ્રન્ટ સમિટમાં પ્રદર્શિત કરવાથી દુનિયા સમક્ષ રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોની તાસીર અહીં ઉજાગર થશે. દેશ વિદેશના લોકો મોટી મોટી કંપનીઓ રેલવે અને ડિફેન્સ વિભાગના અધિકારીઓ આવી રહ્યા છે. આવતા દિવસોમાં રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગમાં ખુબ મોટો બદલાવ ચોક્કસ જોવા મળશે. આનાથી ખુબ મોટો વ્યવસાય મળશે અને ખુબ મોટું સૌરાષ્ટ્રનું ડેવલોપમેન્ટ થશે તેવો મને વિશ્વાસ છે. ઉદ્યોગકારોને ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ અંગેના સેમિનારમાં માર્ગદર્શન અપાશેરાજકોટ અને સૌરાષ્ટ્રના અનેક ઉદ્યોગકારો ડિફેન્સ સંબંધિત સાધનોનું પ્રોડક્શન કરે છે. ડિફેન્સ એકસ્પો થકી રાજકોટની ડિફેન્સ સંસાધનોની ઔદ્યોગિક ઉત્પાદન ક્ષમતાને સરકાર તેમજ બહારના અન્ય ઉદ્યોગકારો, પી.એસ.યુ. સમક્ષ ઉજાગર કરાશે. આ ડિફેન્સ એકસ્પો બાયર્સ અને સેલર્સ માટે સેતુ સમાન બનશે તેવી આશા છે. ઉપરાંત ડિફેન્સ સંબંધિત સાધનોના ઉત્પાદન બાદ તેના સપ્લાય માટે વેન્ડર રજિસ્ટ્રેશન સહિતની બાબતો અંગે રાજકોટના ઉદ્યોગકારોને ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ અંગેના સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવશે. 'રાજકોટમાં 40થી વધુ સેગમેન્ટમાં નોંધપાત્ર કામ થઈ રહ્યું છે'વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે ઔદ્યોગિક વિકાસ માટે વાયબ્રન્ટ ગુજરાતનો નવો કન્સેપ્ટ લાવ્યા હતા. હવે ગુજરાત સરકાર રિજનલ વાયબ્રન્ટનો કન્સેપ્ટ લાવી છે. સૌરાષ્ટ્રના વિવિધ શહેરો વિવિધ ઉત્પાદનોમાં માસ્ટરી ધરાવે છે અને વિશ્વસ્તરે તેની નામના છે. જેમ કે, મોરબી, થાન, વાંકાનેર સિરામિક ક્ષેત્રે, જામનગર ઈલેક્ટ્રિકલ પાર્ટસ તથા બ્રાસ પાર્ટસ, ભાવનગર શિપબ્રેકિંગ તો જુનાગઢ એગ્રિકલ્ચર ઈન્ડસ્ટ્રીઝમાં માસ્ટરી ધરાવે છે. રાજકોટમાં તો 40થી વધુ સેગમેન્ટમાં નોંધપાત્ર કામ થઈ રહ્યું છે. ઈ- કોમર્સ સંલગ્ન ટેકનોલોજીને લઈને સૌરાષ્ટ્રના યુવાનોમાં જાગૃતિ આવીએન્જિનિયરિંગ, સિલ્વર-ગોલ્ડ જવેલરી, ડિઝલ એન્જિન બાદ હવે ઈલેક્ટ્રિક મોટર્સ વગેરે ક્ષેત્રે રાજકોટ આગળ પડતું છે. આ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટથી રાજકોટ તથા સૌરાષ્ટ્રમાં ટૂરિઝમ, એગ્રો ઈન્ડસ્ટ્રીઝ, ઔદ્યોગિક વિકાસ વગેરેને મોટો વેગ મળશે. નાના-મોટા વિવિધ વ્યવસાયો તેમજ ઈ- કોમર્સ સંલગ્ન ટેકનોલોજીને લઈને સૌરાષ્ટ્રના યુવાનોમાં જે જાગૃતિ આવી છે, તેમને મોટી તકો ઉપલબ્ધ થશે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 9:55 am

ગીર સોમનાથમાં દીપડાએ ગાયનો શિકાર કર્યો:ચમોડા-મલોંઢા રોડ પરની ઘટના, વીડિયો વાઇરલ

ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ નજીક ચમોડા-મલોંઢા રોડ પર એક દીપડાએ જાહેર માર્ગ પર ગાયનું મારણ કર્યું હતું. આ ઘટના રાત્રિના આશરે 2 વાગ્યાની આસપાસ બની હતી, જેનો વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ થયો છે અને હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. માહિતી અનુસાર, ચમોડા ગામ નજીક મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહેલી એક ગાય પર દીપડાએ હુમલો કરી તેને શિકાર બનાવી હતી. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક કારચાલકે આ દૃશ્યો જોયા હતા અને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યા હતા. સામાન્ય રીતે જાહેર માર્ગો પર સિંહોના શિકારના દૃશ્યો જોવા મળે છે, પરંતુ દીપડો અત્યંત ચંચળ અને શાંત સ્વભાવનો હોવાથી ખુલ્લા માર્ગ પર આ રીતે શિકાર કરતો જોવા મળવો દુર્લભ છે. આ ઘટનાએ વન્યજીવ પ્રેમીઓ અને સ્થાનિકોમાં ચર્ચા જગાવી છે. વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડા સહિતના વન્ય પ્રાણીઓની અવરજવર વધી હોવાનું મનાય છે. આવા બનાવોને કારણે ગ્રામજનો અને રાત્રિના સમયે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોમાં ભય અને ચિંતાનો માહોલ છે. સ્થાનિકોએ વન વિભાગને આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા અને વન્ય પ્રાણીઓને માનવ વસવાટવાળા વિસ્તારોમાં પ્રવેશતા અટકાવવા માટે અસરકારક પગલાં લેવા માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના કે માનવહાનિ ટાળી શકાય.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 9:44 am

પાટણના પારેવા સર્કલ પાસે ગંદકીથી રહીશો પરેશાન:12 માસથી રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય, આંદોલનની ચીમકી

પાટણના પારેવા સર્કલ વિસ્તારમાં નગરપાલિકાની નિષ્ક્રિયતાને કારણે ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે. છેલ્લા 12 માસથી સ્થાનિક રહીશોની લેખિત રજૂઆતો છતાં કચરાના કન્ટેનરને ખસેડવામાં આવ્યું નથી, જેનાથી લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે. આ સમસ્યાના નિરાકરણ માટે હવે રહીશોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ વ્યવસ્થા પ્રત્યે ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. પારેવા સર્કલ પાસેના સંપની જગ્યામાં આસપાસની સોસાયટીઓનો કચરો ઠાલવવામાં આવતા આખો વિસ્તાર ગંદકીથી ખદબદતો રહે છે. કચરાના કન્ટેનરને કારણે ફેલાતી અસહ્ય દુર્ગંધથી રાહદારીઓને મોઢે રૂમાલ રાખીને પસાર થવું પડે છે. સ્થાનિક રહીશોએ છેલ્લા 12 માસથી સહી ઝુંબેશ ચલાવી નગરપાલિકામાં અનેકવાર લેખિત રજૂઆતો કરી છે. તેમ છતાં તંત્ર દ્વારા ગંદકી દૂર કરવા કે કચરાના કન્ટેનરને હટાવવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. પાલિકા દ્વારા કચરાના કન્ટેનરના સ્થાન અંગેની કામગીરી વિવાદાસ્પદ રહી છે. આ કન્ટેનર અગાઉ રામપાર્ક સામે કોર્પોરેટર રાજપૂત ગોપાલભાઈના ઘર પાસે હતું, જ્યાંથી તેને શિશુમંદિર સ્કૂલ અને પ્રેરણાતીર્થ સામે ખસેડાયું હતું. લોકફરિયાદ બાદ હવે તેને પારેવા સર્કલ પાસેના બગીચાની સંપવાળી જગ્યામાં મૂકવામાં આવ્યું છે, જેનાથી આસપાસના રહીશોની મુશ્કેલી વધી છે. ઉલ્લેખનીય છે કે, માત્ર પારેવા સર્કલ જ નહીં, પાટણના બારેય દરવાજાના રસ્તાઓ પણ બિસ્માર હાલતમાં છે અને ત્યાં પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. સ્થાનિક રહીશ અશ્વિનભાઈ પટેલે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, વારંવારની રજૂઆતો છતાં નગરપાલિકા તંત્ર નિષ્ક્રિય છે. ગંદકીના કારણે રોગચાળો ફેલાવવાનો ભય છે. કચરો ખાવા આવતી ગાયોને કારણે રાહદારીઓને અડચણ પડે છે અને અકસ્માત પણ સર્જાય છે. તેમણે ચીમકી ઉચ્ચારી કે, જો આગામી દિવસોમાં આ કચરા સ્ટેન્ડને નિર્જન જગ્યાએ ખસેડવામાં નહીં આવે, તો વિસ્તારના તમામ રહીશો નગરપાલિકા સામે ઉગ્ર આંદોલન કરશે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 9:30 am

ચોટીલામાં ગેરકાયદે ખનન:જપ્ત કરાયેલા 17 વાહનો 40 લાખથી વધુ દંડ વસૂલી મુક્ત કરાયા

ચોટીલા ડિવિઝનમાંથી ગેરકાયદે ખનન અને પરિવહન કરતા કુલ 17 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. આ વાહનો પાસેથી 40,92,574નો દંડ વસૂલી તેમને મુક્ત કરવામાં આવ્યા છે. ગત 1 ડિસેમ્બર, 2025ના રોજ રાત્રે 2 થી 3 વાગ્યાના અરસામાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે આ કાર્યવાહી કરી હતી. ચોટીલા-જસદણ નેશનલ હાઈવે પર લાખણકા ગામ નજીક અલખધણી હોટલ પાસેથી 8 વાહનો પકડાયા હતા. આ ઉપરાંત, ચોટીલા-અમદાવાદ નેશનલ હાઈવે અને ડિવિઝનના અન્ય વિસ્તારોમાંથી પણ વાહનો જપ્ત કરાયા હતા, જેનો કુલ આંકડો 17 થયો હતો. આ તમામ વાહનો રોયલ્ટી પાસ વગરના, ઓવરલોડ અને ગેરકાયદેસર રેતી-માટી ભરેલા હતા. જપ્ત કરાયેલા વાહનોના માલિકો સામે 'ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, 2017)' હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. વાહન માલિકો દંડની રકમ ભરવા સંમત થયા હતા. તા. 29 ડિસેમ્બર, 2025ના રોજ માલિકો દ્વારા કુલ ₹40,92,574 (ચાલીસ લાખ બાણું હજાર પાંચસો ચોમોતેર રૂપિયા)નો દંડ સુરેન્દ્રનગરની SBI શાખાના ચલણ મારફતે કચેરીમાં જમા કરાવવામાં આવ્યો હતો. દંડ ભરપાઈ થયા બાદ તમામ જપ્ત કરાયેલા વાહનોને મુક્ત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 9:28 am

સાયલા હાઈવે પર 4 હોટલોના ગેરકાયદે બાંધકામ તોડાયા:પોલીસનું મેગા ડિમોલિશન, કરોડોની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ

સુરેન્દ્રનગર: અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે-47 પર સાયલા પોલીસે મહેસૂલ વિભાગ સાથે મળીને મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું. 29 ડિસેમ્બર, 2025ના રોજ થયેલી આ કાર્યવાહીમાં સરકારી અને ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે ઊભી કરાયેલી ચાર હોટલો અને ઢાબાઓના બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. આ ઓપરેશન દ્વારા અંદાજે 10,500 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી, જેની કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી રહી છે. રાજ્ય સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ અને પોલીસ વિભાગની સૂચના મુજબ, અસામાજિક તત્વો અને ભૂમાફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીના ભાગરૂપે આ ઓપરેશન હાથ ધરાયું હતું. સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક (SP) પ્રેમસુખ ડેલુ (IPS)ના માર્ગદર્શન હેઠળ પોલીસનો મોટો કાફલો જેસીબી મશીનો સાથે હાઈવે પર પહોંચ્યો હતો. - ગોપાલ ઢાબા (વખતપર પાસે): સરકારી સર્વે નં-396 પર ગેરકાયદેસર ઊભા કરાયેલા આ ઢાબાને તોડી પાડી 2,000 ચોરસ મીટર જમીન ખાલી કરાવાઈ.- લલકુભાઈ ઉર્ફે જકાભાઈ કાઠીની હોટલ: વખતપર ગામની સીમમાં સરકારી જમીન પરનું 3,000 ચોરસ મીટરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું.- જય માતાજી હોટલ (જેટકો નજીક): સર્વે નં-152 પર આવેલી આ હોટલનું 1,400 ચોરસ મીટર જગ્યામાં ફેલાયેલું ગેરકાયદેસર બાંધકામ જમીનદોસ્ત કરાયું.- ક્રીષ્ના કાઠીયાવાડી હોટલ (સાયલા સીમ): સાયલા સીમમાં સર્વે નં-2030 પર કરવામાં આવેલું સૌથી મોટું 4,000 ચોરસ મીટરનું દબાણ પોલીસ દ્વારા દૂર કરવામાં આવ્યું. લીંબડીના DySP વી.એમ. રબારીની આગેવાનીમાં સાયલા પોલીસના ડી.ડી. ચુડાસમા, સાયલા મામલતદાર અને પોલીસ સ્ટાફે આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હોટલોમાં અગાઉ પણ અનેકવાર અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાની ફરિયાદો મળી હતી. આ મેગા ડિમોલિશન બાદ હાઈવે પરના અન્ય દબાણકર્તાઓમાં પણ ચિંતા વ્યાપી છે. સાયલા પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, સરકારી કે ગૌચર જમીન પર કોઈપણ જાતની પરવાનગી વગર કરવામાં આવેલા દબાણો સાંખી લેવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 9:26 am

દમણમાં સાંસદ ઉમેશ પટેલની અનોખી પહેલ:પ્રવાસીઓ માટે મફત રહેવા-જમવાની વ્યવસ્થા, 'ડ્રિંક એન્ડ ડ્રાઈવ'થી બચાવ

સંઘપ્રદેશ દમણમાં નવા વર્ષની ઉજવણી માટે આવતા પ્રવાસીઓ માટે દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે એક અનોખી પહેલ કરી છે. તેમણે 'ડ્રિંક એન્ડ ડ્રાઈવ'ના કેસોથી બચાવવા માટે પ્રવાસીઓ માટે મફત રહેવા તથા જમવાની વ્યવસ્થા ગોઠવી છે. 'શરાબ અને કબાબ'ની મહેફિલ માટે જાણીતા દમણમાં 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે, જેના કારણે દમણની તમામ નાની-મોટી હોટલો, રિસોર્ટ, ગેસ્ટ હાઉસ અને ધાબાઓમાં એડવાન્સ બુકિંગ પૂરજોશમાં છે. જોકે, આ ઉત્સાહ વચ્ચે દારૂબંધી ધરાવતા ગુજરાતની સરહદો પર પોલીસે કડક નાકાબંધી કરી છે. થર્ટી ફર્સ્ટની રાત્રે દમણથી પરત ફરતા સહેલાણીઓ સામે 'ડ્રિંક એન્ડ ડ્રાઈવ'ના કેસો કરવા અને ઓવરનાઈટ ચેકિંગ માટે ચેકપોસ્ટો કાર્યરત કરી દેવામાં આવી છે. આ પરિસ્થિતિમાં, જે સહેલાણીઓને રહેવા માટે રૂમ ન મળે અથવા જેઓ દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવિંગ કરીને પોલીસ કાર્યવાહીનો ભોગ બનવા ન માંગતા હોય, તેમના માટે સાંસદ ઉમેશભાઈ પટેલે ગત વર્ષની જેમ આ વર્ષે પણ આ વ્યવસ્થા કરી છે. નાની દમણના ભેસલોર વિસ્તારમાં આવેલા દમણ જિલ્લા કોળી સમાજ હોલ ખાતે પ્રવાસીઓ માટે રહેવા તથા જમવાની સંપૂર્ણ વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી નિર્દોષ લોકો હેરાન ન થાય અને સુરક્ષિત રીતે નવું વર્ષ ઉજવી શકે. સાંસદ ઉમેશ પટેલે પ્રવાસીઓને દમણમાં આવકારવાની સાથે કડક અપીલ પણ કરી છે. તેમણે જણાવ્યું છે કે પ્રવાસીઓ મોજમસ્તી જરૂર કરે પરંતુ દારૂ પીને વાહન ન ચલાવે, કારણ કે તે તેમના અને અન્ય લોકોના જીવન માટે જોખમી બની શકે છે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 9:25 am

દાંતાના MLA સહિત આદિવાસી આગેવાનોની મધરાતે અટકાયત:પાલનપુરથી ગાંધીનગરની પદયાત્રા કાણોદર નજીક જ અટકી, જાતિના દાખલા મુદ્દે આક્રોશ

જાતિના દાખલા સહિતની વિવિધ માંગણીઓનો છેલ્લા ત્રણ વર્ષથી કોઇ ઉકેલ ન આવતા બનાસકાંઠાના આદિવાસી સમાજે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં ગઇકાલે પાલનપુરથી ગાંધીનગર સુધીની 131 કિલોમીટરની પદયાત્રાની શરૂઆત કરી હતી. જોકે, આ યાત્રા પાલનપુરથી 12 કિલોમીટર દુર જ અટકી ગઇ છે. મંજૂરી વગર પદયાત્રા નિકાળતા પાલનપુર તાલુકા પોલીસે મધરાતે જ MLA કાંતિ ખરાડી સહિત 50 લોકોની અટકાયત કરી છે. મધરાતે પોલીસે ટીંગાટોળી કરીપોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આ પદયાત્રા માટે કોઇ મંજૂરી લેવામાં આવી નથી. ગઇકાલે બપોરે પાલનપુરથી ગાંધીનગર માટે આ પદયાત્રા શરુ થઇ હતી. આદિવાસી આગેવાનો ચાર જિલ્લાનો પ્રવાસ કરીને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રજૂઆત કરવાના હતા. જોકે, મંજૂરી વગર આ પદયાત્રને ગઇકાલે મોડી સાંજે જ કાણોદર નજીક અટકાવવામાં આવી હતી. પોલીસની સમજાવટ બાદ પણ મામલો થાળે ન પડતાં પોલીસે મધરાતે ટીંગાટોળી કરીને આદિવાસી આગેવાનોની અટકાયત કરી છે. અટકાયત કરેલા તમામ લોકોને હાલ પાલનપુર તાલુકા પોલીસ મથકે રાખવામાં આવ્યા છે. જાતિના દાખલાનું કોઇ નિવારણ ન આવ્યું: કાંતિ ખરાડીગઇકાલે દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી જિલ્લાકક્ષાએ રજૂઆત કરવા થતાં પણ જાતિના દાખલાની સમસ્યાનું કોઇ નિવારણ આવ્યું નથી. ભણેલા ગણેલા છોકરાઓ દાખલાના લીધે નોકરીથી વિહોણા છે. અહીં સ્થાનિક લેવલે અમારી સમસ્યાનું કોઇ નિવારણ ન આવતા અમારે ના છૂટકે ગાંધીનગર સુધીની પદયાત્રાની શરૂઆત કરવી પડી છે. સરકારી નોકરીના ઓર્ડર અટકાવી દેવાય છે:ઈશ્વરભાઈ ડામોરઆદિવાસી સમાજના આગેવાન ઈશ્વરભાઈ ડામોરે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ-ચાર વર્ષથી જાતિના દાખલા મેળવવામાં થતી હેરાનગતિઓ દૂર કરવા માટે સ્થાનિક અધિકારીઓ, પદાધિકારીઓ, મામલતદાર, કલેક્ટર, મંત્રીઓ, મુખ્યમંત્રી અને રાજ્યપાલ સુધી લેખિત રજૂઆતો કરવામાં આવી છે, પણ સરકારે આજ દિન સુધી કોઈ સુખદ નિરાકરણ લાવ્યું નથી. ત્રણ વર્ષથી મહેનત કરીને પરીક્ષા પાસ કરનાર યુવાનોની સરકારી નોકરીના ઓર્ડરો જાતિ ખરાઈના નામે અટકાવી રાખવામાં આવ્યા છે. આ પણ વાંચો: આદિવાસી સમાજની 131 કિ.મીની પદયાત્રા અધૂરી રહી

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 9:21 am

નશો કરીને ગુજરાતમાં પ્રવેશ્યા તો ગયા સમજજો:સરહદી જિલ્લાઓમાં પોલીસની થ્રી લેયરની સુરક્ષા, બનાસકાંઠા-દાહોદમાં SRPFના જવાનો પણ જોડાયા

નવા વર્ષની ઉજવણી અને ખાસ કરીને 31 ડિસેમ્બરના દિવસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ગુજરાતના સરહદી જિલ્લાઓની બોર્ડર પર પોલીસની થ્રી લેયર સુરક્ષા ગોઠવવામાં આવી છે. મધ્યપ્રદેશની બોર્ડને અડીને આવેલા દાહોદ અને રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પર પોલીસ જવાનો સાથે SRPFના જવાનો પણ જોડાયા છે. જે સતત 24 કલાક અવર-જવર કરતા વાહનોનું બારીકાઇથી ચેંકિંગ કરી રહ્યા છે. બોર્ડર પર પોલીસની થ્રી લેયર સુરક્ષાદાહોદ જિલ્લાની વાત કરીએ તો 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કુલ 24 જેટલી આંતરરાજ્ય બોર્ડર પર પોલીસ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. સરહદી વિસ્તારોમાં ત્રણ સ્તરની સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે, જેમાં મુખ્ય બોર્ડર ચેકપોસ્ટ, આંતરિક માર્ગો પર મોબાઈલ ચેકિંગ પોઈન્ટ અને હાઈવે તથા મુખ્ય માર્ગો પર સતત પેટ્રોલિંગનો સમાવેશ થાય છે. તમામ સંવેદનશીલ વિસ્તારોમાં 24x7 વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે. અન્ડરબોડી મિરરથી મોટા વાહનોની તપાસમધ્યપ્રદેશ સરહદ પર આવેલી ખંગેલા ચેકપોસ્ટ આ સુરક્ષા વ્યવસ્થાનુ મુખ્ય કેન્દ્ર છે. અહીં કતવારા પોલીસ સ્ટેશન દ્વારા દિવસ-રાત સતત વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા સ્ટોપ સ્ટિક, હેન્ડ ટોર્ચ જેવા સાધનોનો ઉપયોગ કરીને વાહનોની બારીકીથી તપાસ કરવામાં આવી રહી છે. ટ્રક અને મોટા વાહનોની નીચે તપાસ કરવા માટે અન્ડરબોડી મિરરનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે ડિક્કી અને માલસામાન ચકાસવા માટે ખાસ ટૂલ કિટ રાખવામાં આવી છે. કટર-સ્પેનર વડે ગુપ્ત ખાનાઓની તપાસવાહન ચેકિંગ દરમિયાન ચાલકો દારૂ પીને વાહન ચલાવી રહ્યા છે કે નહીં તે ચકાસવા માટે બ્રેથ એનાલાઈઝર મશીનનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાથે જ વાહનના દસ્તાવેજો, ડ્રાઇવિંગ લાયસન્સ, આર.સી. બુક અને ઇ-ચલાન સિસ્ટમ મારફતે તાત્કાલિક વેરિફિકેશન કરવામાં આવે છે. શંકાસ્પદ વાહનોને સાઈડમાં ઊભા રાખીને સંપૂર્ણ સર્ચ કરવામાં આવે છે અને જરૂરી હોય ત્યાં કટર, સ્પેનર અને અન્ય સાધનો વડે વાહનમાં બનાવાયેલા ગુપ્ત ખાનાઓની તપાસ કરવામાં આવે છે. ખંડેલાથી ત્રણ મોટા જથ્થા ઝડપાયાઆ સઘન વાહન ચેકિંગ દરમિયાન છેલ્લા કેટલાક દિવસોમાં ખંગેલા ચેકપોસ્ટ વિસ્તારમાં દારૂની હેરાફેરીના ત્રણ મોટા કિસ્સાઓ સામે આવ્યા છે. પ્રથમ કિસ્સામાં આઇસર ગાડીમાં રબ્બરના દાણાની આડમાં લોખંડનું ગુપ્ત ખાનું બનાવી વેલ્ડિંગ કરીને છુપાવેલો વિદેશી દારૂ ઝડપાયો હતો, જેમાં કુલ 8,808 બોટલો મળી આવી હતી અને તેની કિંમત 75 લાખ 02 હજાર 160 રુપિયા આંકવામાં આવી હતી. બીજા કિસ્સામાં કલરના બોક્સની આડમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હતો, જેમાં કુલ 5,640 બોટલો મળી આવી અને તેની કિંમત રૂ. 28 લાખ 20 હજાર રુપિયા નોંધાઈ હતી. ત્રીજા કિસ્સામાં પશુ આહારની આડમાં ટ્રકમાં છુપાવીને લઈ જવાતો દારૂ પકડાયો હતો, જેમાં કુલ 505 પેટી એટલે કે 6,060 બોટલો મળી આવી અને તેની કિંમત રૂ. 74 લાખ 10 હજાર રુપિયા આંકવામાં આવી હતી. 1.77 કરોડ રુપિયાનો વિદેશી દારૂ જપ્તઆ રીતે માત્ર ખંગેલા બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન કુલ 20,508 બોટલો વિદેશી દારૂ ઝડપાયો છે, જેની કુલ અંદાજિત કિંમત રૂ. 1 કરોડ 77 લાખ 32 હજાર 160 રુપિયા થાય છે. તમામ કેસોમાં પોલીસે દારૂ સાથે વાહનો જપ્ત કરી આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉચ્ચકક્ષાના અધિકારીઓ બોર્ડર પર તૈનાત: DySPઆ બાબતે દાહોદના DySP જગદીશ ભંડારીએ જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને ખંગેલા જેવી સંવેદનશીલ સરહદો પર પી.એસ.આઈ. કક્ષાના અધિકારીઓ, સિનિયર પોલીસ અધિકારીઓ તેમજ એસ.આર.પી.ની ટુકડીઓની તૈનાતી કરીને રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. પ્રોહિબિશનને લઈને થતી તમામ ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 'સંવેદનશીલ સ્થળો પર પણ પોલીસની તપાસ'DySPએ વધુમાં જણાવ્યું કે, બોર્ડર વિસ્તાર ઉપરાંત શહેર અને ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય માર્ગો, હાઈવે, ઢાબા અને સંવેદનશીલ સ્થળો પર પણ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી, નશામાં વાહન ચલાવવું કે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં. નવા વર્ષને શાંતિપૂર્ણ, સલામત અને કાયદેસર રીતે ઉજવાય તે માટે દાહોદ જિલ્લા પોલીસ સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે. અમીરગઢ બોર્ડર પર SRPFના જવાનો પણ જોડાયાઆવી જ રીતે રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાની તમામ બોર્ડર પર ચેકિંગમાં પોલીસ સાથે SRPFના જવાનો પણ જોડાયા છે. જે તમામ વાહોનું બારીકાઇથી ઝીણવટ ભરી તરાસ કરી રહ્યા છે. અહીં અમીરગઢ ચેકપોસ્ટ આ સુરક્ષા વ્યવસ્થાનુ મુખ્ય કેન્દ્ર છે. બોડીવોર્ન કેમેરા દ્વારા પણ ચાંપતી નજરબનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટને અતિ સંવેદનશીલ માનવામાં આવે છે. અહીં રાજસ્થાન તરફથી આવતા વાહનોની ઝીણવટભરી તપાસ કરીને જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પોલીસ બોડીવોર્ન કેમેરા દ્વારા પણ ચાંપતી નજર રાખી રહી છે. આ ઉપરાંત રાજસ્થાન તરફથી આવતા લોકોનું બ્રેથ એનેલાઈઝર દ્વારા પણ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેથી દારૂબંધીનો ભંગ અટકાવી શકાય.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 8:39 am

રશિયા-યુક્રેન સીઝફાયરની છેલ્લી આશા પર પાણી ફર્યું! ટ્રમ્પે ગુસ્સે થઈ કહ્યું- આવું તો ના જ કરાય

Drone Attack on Putin’s Residence : રશિયા અને યુક્રેન યુદ્ધમાં શાંતિ માટે જેટલા પ્રયાસ કરવામાં આવે તેમાં દર વખતે નવી અડચણો જોવા મળી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા કેટલાય સમયથી મધ્યસ્થી બનીને બંને દેશ વચ્ચે સમાધાન કરાવવા પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં જ તેમણે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે અમેરિકામાં લાંબી બેઠક કરી. પરંતુ હવે રશિયાનો દાવો છે કે તેમના પ્રમુખ વ્લાદિમીર પુતિનના નિવાસ સ્થાન પર ડ્રોનથી મોટો હુમલો કરવામાં આવ્યો. જોકે રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ હોવાના કારણે તમામ ડ્રોન તોડી પડાયા પણ સીધા પુતિન પર આ હુમલાના કારણે રશિયા ભારે આક્રોશમાં જોવા મળશે. બીજી તરફ આ હુમલાથી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ નારાજ છે.

ગુજરાત સમાચાર 30 Dec 2025 8:36 am

ટ્રાફિક સમસ્યાને નાથવાનો પ્રયાસ:સિરામિક સિટીમાં રસ્તાના કામ ચાલી રહ્યા હોઇ, ઠેકઠેકાણે ટ્રાફિકજામનો પ્રશ્ન લોકો માટે માથાના દુખાવા સમાન બની રહ્યો છે ત્યારે પોલીસે નવો રસ્તો કાઢ્યો

મોરબી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ચાલી રહેલા રોડના કામને કારણે શહેરના મુખ્ય માર્ગોની સાથે હવે બાયપાસ વિસ્તારમાં પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે, ત્યારે આવા જામના પ્રશ્ન ઉકેલવા જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે અને ટ્રાફિક જામના પીક અવર દરમિયાન રાજકોટથી કંડલા તરફ અને કંડલા હાઇવે થી રાજકોટ તરફ જતા ભારે વાહનોની એન્ટ્રી અટકાવી દેવામાં આવી હતી. આ સમય દરમિયાન શહેરમાંથી નીકળતા વાહનોને પ્રાથમિકતા આપવામાં આવતા પ્રથમ દિવસે વાહન ચાલકોને ટ્રાફિક જામમાંથી રાહત મળી હતી. જો બન્ને સમય દરમિયાન જામની સમસ્યા ઉકેલવામાં સફળતા મળશે તો તેને કાયમી ઉપાય તરીકે લાવવાની પોલીસે તૈયારી શરુ કરી છે મોરબી શહેરના ગાંધી ચોક વિસ્તાર અને સ્ટેશન રોડ પર ચાલતા રોડના કામને કારણે મોરબી શહેરથી સામાકાઠા વિસ્તારમાં જવા માટે મોટાભાગના લોકો દલવાડી સર્કલથી કંડલા રાજકોટ બાયપાસ રોડનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ચારેય તરફથી વાહનો આવતા અંધાંધુધી સર્જાય છે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે આવી સ્થિતિમાં હાલ પોલીસ એક્શન મોડમાં આવી છે અને જામની સ્થિતિ નિવારવા એક પ્રયોગ હાથમાં લીધો છે. સોમવારે મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલની આગેવાનીમાં મોરબી જિલ્લા ટ્રાફિક પી આઈ હંસાબેન ઘેલા તેમજ તેમની ટીમ દ્વારા આજે વહેલી સવારે આઠ થી સાડા દસ વાગ્યા સુધી 30 રાજકોટ થી કંડલા નેશનલ તરફ જતા તેમજ કંડલા હાઈવેથી રાજકોટ તરફથી જતા રોડ ના વાહનોને શહેરમાં પ્રવેશ કરતા પહેલા જ અટકાવી દેવાયા હતા અને શહેરમાંથી નીકળતા વાહનોને ઝડપથી નીકળવા દેવામાં આવ્યા હતા જેના કારણને શહેરના દલવાડી શનાળા બાયપાસથી દલવાડી સર્કલ સુધી રહેતા ટ્રાફિકની સમસ્યા માંથી લોકોને મહદ અંશે રાહત મળી હતી. પહેલો પ્રયોગ સફળ, હવે કલેક્ટરની મદદથી જાહેરનામાની કવાયત‎પ્રથમ દિવસના પ્રયોગમાં મહદ અંશે સફળ થયા રવિરાજ ચોકડીથી શનાળા ચોકડી પર ટ્રાફિક જામની સમસ્યા વધુ જોવા મળી છે. આ રોડની બન્ને તરફ સવારે અને સાંજે પીક અવર દરમિયાન જામ રહેતો હોવાથી અમે તેના ઉકેલ માટે એક પ્રયોગ હાથ ધર્યો હતો, જેમાં રવિરાજ ચોકડીથી નવલખી બાયપાસ તેમજ અજંતાથી કમ્ફર્ટ રિસોર્ટ સુધી વાહન અટકાવતા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવામાં મહદ અંશે સફળતા મળી છે. પ્રયોગ દરમિયાન નાની એવી ભૂલ સામે આવી છે તેને આવતી કાલથી સુધારો કરી પ્રયોગ ચાલુ રાખીશું. બાદમાં અમે કલેકટર પાસેથી આ અંગેનું જાહેરનામું બહાર પાડી તેને કાયમી કરાવી લોકોને જામમાંથી મુક્તિ મેળવવા પ્રયાસ કરીશું. લોકોને પણ અમે અપીલ કરીએ છીએ કે સિરામિક ફેક્ટરી તરફ જતા વાહન ચાલકો સાડા આઠ થી સાડા દસ સુધીમાં નીકળી જશે તો જામમાંથી તેમને મુક્તિ મળશે. > મુકેશ પટેલ, એસપી, મોરબી શહેરમાંથી નીકળતા વાહન ચાલકોને દલવાડી સર્કલ તરફ ન જવા સૂચન‎સામાન્ય રીતે મોરબી શહેરમાંથી નીકળતી ફોર વ્હીલ તેમજ ટુ વ્હીલ ચાલકો ઉમિયા સર્કલથી વન વે જાહેર કરેલા રોડ પરથી દલવાડી સર્કલ તરફ જાય છે અને આ રસ્તો સાંકડો હોવાના કારણે બન્ને તરફ વાહનો એક સાથે થવા તેમજ હાઈવે પરથી આવતા વાહનોની સામેથી નીકળતા હોવાથી બાયપાસ પર ટ્રાફિક જામ સર્જાય છે ત્યારે આ સમસ્યા ઉકેલવા વાહન ચાલકોને ઉમિયા સર્કલથી ભક્તિ નગર બ્રીજ વાળા સર્વિસ રોડનો ઉપયોગ કરી બાયપાસ રોડ તરફ જવા પોલીસે સૂચન કર્યું છે. પોલીસ દ્વારા આગામી સમય આ રોડ વન વે જાહેર કરવામાં આવનાર છે અને વાહનોને એક તરફના રોડનો ઉપયોગ કરવા સુચના અપાશે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 8:29 am

ફરાર આરોપી પકડાયો:મોરબી- જામનગર જિલ્લામાં ચોરીમાં ફરાર શખ્સ 16 વર્ષ બાદ ઝડપાયો

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરબી જિલ્લાના તથા જામનગર જિલ્લાના અલગ-અલગ ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી જારીયો ઉર્ફે રાજુ ઉર્ફે માનસીંગ સમરીયો સીંગાડીયા રહે. વાગધારી, ફુટતાલાબ હાલે દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે ખેત મજૂરી કામ કરતો હોવાની બાતમી મળતા તુરંત બાતમીવાળી જગ્યાએ જઇ પોલીસે તપાસ કરતા ઘરફોડ ચોરીના ગુનામા નાસતો ફરતો આરોપી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના ભાતેલ ગામની સીમ સિધ્ધરાજસિંહ પ્રભાતસિંહ જાડેજાની વાડી ખાતેથી મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે. આમ, મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનના એક તથા જામનગર જિલ્લાના પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના બે મળી એમ કુલ ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 16 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળી છે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 8:27 am

સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ:વયોવૃદ્ધ દાનવીરે દેહદાન કરી તબીબી છાત્રો માટે સેવાનો રાહ ચીંધ્યો

ગોધરાના વયોવૃદ્ધ નાગરિકે તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સંશોધન અને શિક્ષણ હેતુ માટે પોતાના નશ્વર દેહનું દાન કરી એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે 'એનાટોમી' (શરીર રચના શાસ્ત્ર) વિષય ખૂબ જ મહત્વનો હોય છે. આ વિષયના ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે માનવ શરીર (કેડેવર) ની અનિવાર્ય જરૂરિયાત રહે છે. ગોધરાની GMERS મેડિકલ કોલેજમાં પણ વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન મળી રહે તે હેતુથી દેહદાન સ્વીકારવામાં આવી રહ્યુ છે. સામાન્ય રીતે મૃત્યુ બાદ ધાર્મિક પરંપરા મુજબ અગ્નિસંસ્કાર કરવામાં આવતા હોય છે. પરંતુ રમણીકલાલ અને તેમના પરિવારે અંધશ્રદ્ધા કે જૂની માન્યતાઓ છોડીને વિજ્ઞાનના વિકાસ અને માનવ કલ્યાણને પ્રાધાન્ય આપ્યું છે. ગોધરાના રમણીકલાલ કરશનદાસ સિંધવ 87 વર્ષનું સાર્થક જીવન જીવીને મૃત્યુ બાદ પણ અન્યોને મદદરૂપ થવાની તેમની આ ભાવનાને સાર્થક કરવા અગાઉથી જ દેહદાન માટે ફોર્મ ભરવા સહિતની કાર્યવાહી પૂર્ણ કરી દીધી હતી. સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજીને તેમણે તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પોતાના નશ્વર દેહનું દાન કરી એક પ્રેરણાદાયી રાહ ચીંધ્યો છે. દેહદાન દ્વારા મળતુ પ્રેક્ટિકલ જ્ઞાન ઘણુ શ્રેષ્ઠ હોય છે મેડિકલના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે શરીર રચના શાસ્ત્ર સૌથી મહત્વનો વિષય છે. માનવ શરીરની અંદર નસો, સ્નાયુઓ, હાડકાં અને અંગો કેવી રીતે ગોઠવાયેલા છે, તે સમજવા માટે મૃતદેહ પર અભ્યાસ કરવો અનિવાર્ય છે. જે માત્ર પ્રત્યક્ષ જોવાથી જ સમજી શકાય છે. પુસ્તકો કે કોમ્પ્યુટર મોડેલ દ્વારા જે જ્ઞાન મળે છે, તેના કરતા દેહદાન દ્વારા મળતું પ્રેક્ટિકલ જ્ઞાન અનેક ગણું શ્રેષ્ઠ હોય છે. ભારતમાં દેહદાહ કરનારા બહુ ઓછા લોકો છે‎અન્ય દેશ કરતા ભારતમાં દેહદાન ઓછુ થઇ રહ્યુ છે. જેથી મોડીકલના‎વિદ્યાર્થીઓના અભ્યાસ અને સંસોધન ઓછુ થઇ રહ્યુ છે. લોકોમાં‎દેહદાનની જાગૃતતા આવે અને લોકો દેહદાન કરવા પ્રેરાયતો મેડીકલ ક્ષેત્રે‎ભારત અગ્રેસર રહી શકે છે. વધુમાં તબીબો પણ દેહદાન માટે આગળ‎આવે તે ખુબજ જરૂરી છે. > હિતેશભાઇ સિંધવ , મૃતકનો પુત્ર‎

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 8:19 am

મહેસૂલી આલમમાં ફફડાટ ફેલાયો‎:બોગસ લગ્ન નોંધણી પ્રકરણમાં 4 તલાટી સામે આરોપનામુ ઘડાયું

પંચમહાલ જિલ્લો બોગસ લગ્ન નોંધણીનું એપીસેન્ટર બન્યું છે. ત્યારે જિલ્લા પંચાયત દ્વારા ઘોઘંબાની 4 અને કાલોલની 1 ગ્રામપંચાયતમાં તપાસ કરતા 1,048 લગ્ન નોંધણીઓ અધુરા પુરાવાના આધારે કરી હોવાનુ પુરવાર થયુ હતું. જેના પગલે નાયબ ડીડીઓ દ્વારા ભાણપુરા, કણબી પાલ્લી, નાથકુવા તથા કંકોડા કુઈ અને કાલંત્રા ચાર તલાટીઓ સામે આરોપનામુ ઘડીને ચાર્જશીટ સોપતા મહેસુલ આલમમાં સન્નાટો ફેલાયો હતો. તમામ તત્કાલીન તલાટીઓએ આગામી 30 દિવસમાં પુરતા પુરવા સાથે જવાબ રજુ નહિ઼ કરે તો આગળની કાર્યવાહી હાથ ધરાશે. પંચમહાલ જિલ્લામાં કેટલાક લાલચુ તલાટીઓ રોકડી કરવા અધુરા પુરાવના આધારે લગ્ન નોંધણી પ્રમાણપત્ર આપ્યાનો ઘટસ્ફોટ સૌ પ્રથમ ભાસ્કરે શહેરાના ભદ્રાલા ગામના તલાટીનો કર્યો હતો. ત્યાર બાદ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં બોગસ લગ્ન નોંધણીનો સીલસિલો ચાલુ થતા બોગસ લગ્ન નોંધણી કરાવવા પંચમહાલ જિલ્લો એપીસેન્ટર બન્યુ હોય તેમ લાગ્યુ હતુ. પંચમહાલની કણજીપાણી ગ્રામપંચાયતના તલાટી દ્વારા બોગસ લગ્ન નોંધણી ગંભીર ગરબડો બહાર આવી હતી. ત્યારે જિલ્લા પંચાયત દ્વારા રાજ્ય લગ્ન નોંધણી રજીસ્ટાર દ્વારા લેખિત રજુઆત આવતા તપાસ ટીમ બનાવીને તપાસ ચાલુ કરી હતી. જેમા જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં વર્ષ 2024-25 દરમિયાન થયેલી લગ્ન નોંધણીના રેકર્ડની વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નાથકુવા, કંકોડાકોઈ, ભાણપુરા, કણબીપાલ્લી તથા કાલંત્રા સહિતની 5 ગ્રામ પંચાયતોમાં કુલ 1048 લગ્ન નોંધણીમાં અધૂરા પુરાવા, જરૂરી દસ્તાવેજોની ખામી તેમજ નિયમ વિરુદ્ધ નોંધણી જેવી અનેક ગંભીર ક્ષતિઓ સામે આવી છે. જિલ્લા નાયબ વિકાસ અધિકારીએ 4 તત્કાલીન તલાટીને ચાર્જશીટ ફટકારવામાં આવી હતી. લગ્ન નોંધણીમાં ગંભીર બેદરકારી દાખવનાર 4 તત્કાલીન તલાટીઓ સામે વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમા સોમવારે તલાટીઓ નોટીસનો જવાબ આપવા આવ્યા હતા. જવાબ રજૂ કર્યા બાદ નાયબ જીલ્લા વિકાસ અધિકારીએ ભાણપુરાના બી.એલ.કામોડ, કણબી પાલ્લી ગ્રામ પંચાયતના એન. એલ. સોલંકી, નાથકુવા તથા કંકોડા કુઈ ગ્રામ પંચાયતના પી. એ. પટેલ તથા કાલંત્રા ગ્રામ પંચાયતના આર. સી. ભોઈ સહિત 4 તલાટી કમ મંત્રીને ચાર્જશીટ ફટકારી છે. જિલ્લા નાયબ વિકાસ અધિકારીએ ચારેય તલાટીઓ સામે આરોપનામું ઘડી ચાર્જશીટ પાઠવતા સમગ્ર જિલ્લાના મહેસૂલી આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. તલાટીઓ વચેટિયાઓના સંપર્કમાં રહે છે જિલ્લામાં કેટલાક તલાટી વચેટીયાઓ સંપર્કમાં હોય છે. ઘરેથી ભાગેલ પ્રેમી પંખીડાઓ લગ્ન નોંધણી પ્રમાણપત્ર પોલીસ મથકે બતાવવાનું હોય છે. જેથી તેઓ વચેટીયાઓનો સંપર્ક કરતા મો માંગ્યા રૂપિયા વચેટીયાઓ લે છે અને પંચમહાલના તલાટી પાસેથી અધુરા પુરાવાના આધારે ગામમાં લગ્ન થયા ન હોય, સાક્ષીઓ કે ગોરમહારાજ ગામમાં લગ્ન કરાવ્યુ ન હોય છતાં લગ્ન નોંધણી પ્રમાણપત્ર આપી દે છે. જેથી અનેક પોલીસ ફરીયાદો નોંધાઇ છે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 8:18 am

મુખ્યમંત્રીના ‘સ્વાગત’ ઓનલાઈન ફરિયાદ થતાં ટીમ દોડી:ગોધરામાં વરસાદી કાંસમાં કચરાનો ભરાવો રહેતા GUDCનુ ચેકિંગ

ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વર્ષોથી વણઉકેલાયેલી કાંસની સાફ-સફાઈની સમસ્યા રાજ્ય સરકાર સુધી પહોંચી છે. મુખ્યમંત્રીના ''સ્વાગત'' ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં થયેલી રજૂઆતને પગલે ગાંધીનગર ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (GUDC)ની ટીમ હરકતમાં આવી છે. રવિવારે ઉચ્ચ અધિકારીઓની ટીમે સ્થળ મુલાકાત લઈ નગરપાલિકાના તંત્રને આડે હાથ લીધું હતું અને જરૂરી નિર્દેશો આપ્યા હતા. ગોધરાના પોલન બજાર, ઉર્દૂ કુમાર અને કન્યા શાળા વિસ્તારમાંથી પસાર થતી મુખ્ય વરસાદી કાંસ (સ્ટ્રોમ વોટર લાઈન) લાંબા સમયથી ગંદકી અને કચરાથી ભરાયેલી છે. સ્થાનિક અરજદાર સફ્ફાનભાઈ હઠીલા દ્વારા મુખ્યમંત્રી સ્વાગત પોર્ટલ પર આ બાબતે ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે, પ્રી-મોનસૂન કામગીરીના અભાવે આ કાંસમાં 2-3 ફૂટ ગંદકીનો ભરાવો થતાં શાળાના બાળકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે.જંગલી ઝાડીઓનું સામ્રાજ્ય કાંસમાં મોટા પ્રમાણમાં કચરો હોવાથી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થયો હતો.ડોર-ટુ-ડોર કલેક્શનમાં કચરાની ગાડી નિયમિત આવતી ન હોવાની સહીત ની ફરિયાદ ઓનલાઇન કરાઇ હતી. જવાબદારો સામે પગલા લેવાશેGUDCના વાઈસ પ્રેસિડેન્ટ (પ્રોજેક્ટ) દ્વારા આ મામલે તપાસનો વિગતવાર અહેવાલ દિન-4 માં સાદર કરવા માટે ચીફ ઓફિસર અને સંબંધિત ઇજનેરોને કડક સૂચના આપી છે. જો આગામી દિવસોમાં સફાઈ કામગીરી સંતોષકારક નહીં જણાય તો જવાબદારો સામે પગલાં લેવાય તેવી પણ શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 8:17 am

ગોઝારો અકસ્માત સર્જાયો:ભોજેલામાં બાઇક પરથી પટકાતાં ચાલક યુવકનું મોત

સુખસર તાલુકાના ભોજેલા ગામના લબાના પાડા ફળિયામાં રહેતા 42 વર્ષીય જયંતિભાઇ વિરસીંગભાઇ બારીયા 20 ડિસેમ્બરના રોજ પોતાની મોટર સાયકલ લઇને ગામમાં વાણી મહુડી ફળિયામાંથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન સાયકલ ઉપરનો કાબુ ગુમાવી દેતાં ડામર રોડ ઉપર પટકાયા હતા. જેમા તેને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સુખસર સરકારી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે સંતરામપુર લઇ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ઘરે લઇ આવ્યા હતા. તબીયત સારી નહોવાથી બીજા દિવસે દાહોદ ઝાયડસ હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર ઇજાઓના કારણે રાત્રે આઠ વાગ્યાના અરસામાં હાજર તબીબે જયંતિભાઇને મૃત જાહેર કર્યા હતા. આ સંદર્ભે મૃતકના પત્ની લાલીબેન બારીયાએ સુખસર પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે મૃતક જયંતિભાઇ બારીયા સામે ફેટલનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 8:11 am

તેજગઢમાં જન આક્રોશ યાત્રા:અમિત ચાવડાએ વેપારીઓ સાથે મુલાકાત કરી

ગુજરાત કોંગ્રેસની બીજા તબક્કાની જન આક્રોશ યાત્રા આજે છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ પહોંચી હતી.યાત્રા દરમિયાન અમિતભાઈ ચાવડાએ લીમડી બજાર વિસ્તારમાં વેપારીઓની મુલાકાત લીધી અને વેપાર-ધંધા સંબંધિત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી. વેપારીઓએ GST, મોંઘવારી અને સ્થાનિક વિકાસના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેના પર અમિતભાઈએ કોંગ્રેસની નીતિઓ અને ભાજપ સરકારની ખામીઓ પર પ્રકાશ પાડ્યો હતો. સ્થાનિક કોંગ્રેસ નેતાઓ જેમ કે નગીનભાઈ રાઠવા, સિરાજભાઈ શેખ, ઈશ્વરભાઈ રાઠવા, હમીદભાઈ ખત્રી સહિત અન્ય આગેવાનોએ અમિત ચાવડાનું ફૂલહાર અને શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું. યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા. આ યાત્રા ભાજપ સરકારની નીતિઓ વિરુદ્ધ જનતાના આક્રોશને વાચા આપવા માટે ચલાવવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓમાં ફરતી આ યાત્રાને આદિવાસી વિસ્તારોમાં ખાસ્સો પ્રતિસાદ મળી રહ્યો છે. તેજગઢ જન આક્રોશ યાત્રા છોટાઉદેપુર રવાના થઇ હતી.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 8:10 am

દંડનીય કાર્યવાહી કરાઈ:ભરૂચ કલેક્ટર કચેરી પાસે આઇકોનિક માર્ગ પર વાહનોને પાર્ક કરનારા 15 ચાલકો દંડાયા

ભરૂચમાં કલેક્ટર કચેરી નજીક ભૃગુઋષિ બ્રિજ થી શક્તિનાથ સુધીના 80 લાખના ખર્ચે બનેલા આઇકોનિક માર્ગ પર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ માર્ગ શહેરની શોભા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના ઉદ્દેશ્યથી તૈયાર કરાયો હતો. આ આઇકોનિક માર્ગ પર કેટલાક વાહનચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરવામાં આવતા હતા. જેના કારણે રોજિંદા ટ્રાફિકમાં અડચણ ઊભી થતી હતી. અન્ય વાહન ચાલકો અને પદયાત્રીઓને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. જેને લઈને સ્થાનિક નાગરિકોમાં સંતોષ પ્રવર્તી રહ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, એ-ડિવિઝન પોલીસે ગતરોજ એક વિશેષ ડ્રાઇવ હાથ ધરી હતી. આ ડ્રાઈવ દરમિયાન રોડ પર ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા 15 જેટલા વાહનચાલકોને રૂપિયા 500નો મેમો ફટકારવામાં આવ્યો હતો. તેમને ભવિષ્યમાં આવી ગેરરીતિ નહીં ચલાવી લેવાય તેવી કડક સૂચના પણ અપાઈ હતી. પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરના મહત્વના માર્ગ પર ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરાશે. આનો ઉદ્દેશ્ય આઇકોનિક માર્ગ પરની વ્યવસ્થા જાળવી રાખવાનો અને નાગરિકો માટે સરળ અવરજવર સુનિશ્ચિત કરવાનો છે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 8:04 am

સલામતી એ જ સાવચેતી:શક્તિનાથમાં થાંભલાઓ વચ્ચે તાર બાંધવાનું શરૂ

ભાસ્કર ન્યુઝ | ભરૂચ ઉત્તરાયણ પહેલાં પતંગો ચગવાનું શરૂ થઇ ચુકયું છે ત્યારે પતંગની દોરીથી વાહનચાલકોના ગળા કપાવાના બનાવો પણ બની રહયાં છે. ભરૂચ શહેરમાં પતંગની દોરીથી ગળા કપાતા રોકવા માટે શકિતનાથ વિસ્તારમાં થાંભલાઓ વચ્ચે તાર બાંધી રહી છે. થોડા વર્ષો પહેલાં ભૃગુઋુષિ બ્રિજ પર પતંગની દોરીથી ગળુ કપાઇ જવાથી મહિલાનું મોત થયું હતું. એક કિમીથી વધુની લંબાઇ ધરાવતાં બ્રિજની બંને તરફ પણ તાર લગાવવામાં આવશે. ભરૂચ નગરપાલિકા દ્વારા પતંગના દોરાથી કોઈને નુકસાન ન થાય, અકસ્માત ન સર્જાય અને ઈજા ન થાય તેવા હેતુ સાથે ભરૂચ શહેરમાં શક્તિનાથ વિસ્તારમાં તાર બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શક્તિનાથ વિસ્તાર સહિતના અન્ય વિસ્તારોમાં લોખંડના તાર બાંધી અનોખી રીતે સાવચેતીથી રાખવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષો પહેલાં ભુગૃઋુષિ બ્રિજપર બાળકી સાથે પસાર થઇ રહેલી મહિલાના ગાળામાં દોરી ભરાઈ જતા ગંભીર ઈજાઓ પહોચી હતી. જો કે સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. વાહન પર તારનું ગાર્ડ લગાવવું જરૂરી‎રાજ્યમાં મકર સંક્રાંતિ આવતા જ ચાઇનીઝ દોરીનું વેચાણ ચોરી છૂપે શરુ થઇ જાય છે. જો કે રાજ્યમાં સતાવાર રીતે ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ છે. આવા સંજોગોમાં નાણા શહેર હોય કે મહાનગર, વાહન ચાલકોએ પોતાના વાહનોમાં સુરક્ષા ગાર્ડ લગાવવું આવશ્યક બની જાય છે. વાહનચાલકો વાહનની આગળ તારનું ગાર્ડ લગાવીને પણ દોરીથી રક્ષણ મેળવી શકે છે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 8:00 am

કિંજલથી લઈને આરતી સાંગાણી, જીવનસાથી માટે યુવતીઓ સમાજ સામે પડી:'દરેક જ્ઞાતિ આઇડેન્ટિટી પોલિટિક્સ રમી રહી છે', સમાજશાસ્ત્રીઓએ દેખાડ્યો અરીસો

વિકાસના પર્યાય બનેલા ગુજરાતમાં લોકગાયિકા કિંજલ દવેએ અન્ય સમાજના યુવક સાથે કરેલી સગાઈ, ભાવનગરની પ્રિયા મોરડીયા અને સુરતની આરતી સાંગાણીએ કરેલા લવમેરેજ હાલ રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યા છે. આંતરજ્ઞાતિય લગ્નને લઈ સમાજમાં રીતસરના બે ફાંટા પડી ગયા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પાટીદાર સહિતના સમાજ દ્વારા છેલ્લા કેટલાય સમયથી પ્રેમલગ્નના કિસ્સામાં માતાપિતાની સહમતી લેવાની માગ ફરી એકવાર પ્રબળ બની છે. સમાજમાં શા માટે લવમેરેજનો વિરોધ થઈ રહ્યો છે અને તેનો ઉકેલ શું હોય શકે? આ બાબતે દિવ્ય ભાસ્કરે ગુજરાતના જાણીતા સોશિયોલોજિસ્ટ વિદ્યુત જોશી અને ગૌરાંગ જાની સાથે વાતચીત કરી હતી. સૌ પ્રથમ ગુજરાતમાં જે ત્રણ મામલાઓ ચર્ચામાં છે તેની એક બાદ એક વાત કરીએ. કિંજલ દવેએ ધ્રુવીન શાહ સાથે સગાઈ કરતા બ્રહ્મસમાજે બહિષ્કાર કર્યોગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવેએ પોતાની જ્ઞાતિ બહાર એક્ટર અને બિઝનેસમેન ધ્રુવીન શાહ સાથે સગાઈ કરતા પાંચ પરગણા બ્રહ્મસમાજમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો અને સમાજ દ્વારા કિંજલ દવેના પરિવારનો બહિષ્કાર કર્યો હતો. સમાજના નિર્ણયની સામે ચૂપ બેસી રહેવાના બદલે કિંજલ દવેએ પણ સવાલોનો મારો કર્યો હતો અને કહ્યું હતું કે, દીકરીઓની પાંખો કાપવાની વાતો છે, હું પણ સાટા પ્રથાથી પીડિત છું. કિંજલે વધુમાં જણાવ્યું હતું કે,દીકરીઓ અત્યારે તેજસ જેવા પ્લેનો ઊડાડી રહી છે, યુદ્ધ કરી રહી છે, રણ મેદાનમાં છે, સંસદમાં છે, હમણાં ઓપરેશન સિંદૂર જે થયું એમાં બે દીકરીઓએ લીડ લઈને આપણા દેશને ગૌરવ અપાવ્યું છે ત્યારે શું બે-ચાર આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે, એક દીકરીનો લાઈફ પાર્ટનર કોણ હશે, શું એક દીકરીને તેનો લાઈફ પાર્ટનર પસંદ કરવાનો હક્ક નથી? ભાવનગરની પ્રિયા મોરડીયાના લવમેરેજનો મામલો કોર્ટ સુધી પહોંચ્યોભાવનગરની પ્રિયા મોરડીયા અને ગઢડાના યશ ઉપાધ્યાયે કરેલા લવમેરેજનો મામલો પોલીસ સ્ટેશન અને કોર્ટ સુધી પહોંચ્યો હતો. યશ ઉપાધ્યાય અને તેના પરિવારને સમાધાનના બહાને ભાવનગર બોલાવી પ્રિયાના પરિવારજનો દ્વારા હુમલો કરાયો હતો. ત્યારબાદ પ્રિયાનું તેમના પરિવારજનો દ્વારા કારમાં અપહરણ કરાયું હોવાની ફરિયાદ નોંધાવામાં આવી હતી. યશ ઉપાધ્યાયના પરિવારે પોલીસ કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા અને ન્યાય માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. કોર્ટના આદેશથી પ્રિયાને હાજર કરવામાં આવી હતી. જેમા પ્રિયાએ પોતાના પતિ યશ ઉપાધ્યાય સાથે જવાની વાત કરતા કોર્ટે પોલીસ પ્રોટેક્શનનો આદેશ કરી કપલને જ્યાં જવું હોય ત્યાં મૂકી આવવાનો આદેશ કર્યો હતો. ગાયિકા આરતી સાંગાણીએ તબલા વાદક સાથે લગ્ન કરતા પરિવાર-સમાજનો વિરોધસુરતમાં રહેતી પાટીદાર યુવતી અને ગાયિકા આરતી સાંગાણીએ તેમની સાથે સ્ટેજ પ્રોગ્રામ કરતા તબલાવાદક દેવાંગ ગોહેલ સાથે મૈત્રી કરાર કરી રહેવા લાગતા આરતીના પરિવારજનો અને પટેલ સમાજના આગેવાનોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. પિતાએ રડતા રડતા દીકરી આરતીને પરત આવી જવા અપીલ કરી હતી. પાટીદાર સમાજના કેટલાક આગેવાનો દ્વારા વિરોધ કરાતા આરતી સાંગાણીએ વીડિયોના માધ્યમથી જવાબ આપ્યો હતો. અલગ અલગ ત્રણ વીડિયો મૂકીને જણાવ્યું હતું કે, મારે કંઈ જ બોલવું નથી પણ મને લાગે છે કે લોકો મોઢામાં આંગળી નાખી-નાખીને મને બોલાવશે. હાલમાં મારા પપ્પાનો એક વીડિયો વાયરલ કર્યો છે, જેની અંદર મારા પપ્પા રડે છે અને કહે છે કે ભાઈ મારી દીકરીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો. તો શું તમે લોકોને ખબર છે કે જે દિવસે હું ઘરેથી નીકળી, તે દિવસે હું ઘરે કહીને નીકળી હતી કે હું જાઉં છું? મેં ઘરે મેસેજ છોડ્યો હતો કે મેં આ નિર્ણય લીધો છે મારા જીવન માટે. આજે હું ખુશ છું તો આખી દુનિયાથી નથી જોવાતું. સોશિયલ મીડિયા પર એક કામ મળી ગયું હોય એવું લાગે છે મને તમને, કે આરતી સાંગાણી વિશે જ વાત થવી જોઈએ. તમારા ઘરે પણ દીકરી છે અને તમારા જીવનમાં દીકરીઓ આવશે પણ, આ વાત ભૂલવી નહીં. જ્યારે તમારા ઘરેથી દીકરી જશે અને એની વેદના તમને થશે ને, ત્યારે તમને ખબર પડશે. દરેક જ્ઞાતિ આઈડેન્ટિટી પોલિટિક્સ રમી રહી છે, જેમાં સ્ત્રીને હાથો બનાવાય છે- વિદ્યુત જોશીગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાઈ રહેલા લવમેરેજના મુદ્દે જાણીતા સોશિયોલોજિસ્ટ વિદ્યુત જોશીએ જણાવ્યું હતું કે, છોકરી જો પ્રેમલગ્ન કરે તો તેનો સમાજ બહિષ્કાર કરે છે પરંતુ જ્યારે છોકરો લગ્ન કરે તો શું ખરેખર સમાજ તેનો બહિષ્કાર કરે છે ખરો ? દરેક જ્ઞાતિઓએ પોતાનો ઓનરનો મુદ્દો બનાવી દીધો છે કે, અમારી છોકરી અમારા સમાજ બહાર ન જવી જોઈએ. જ્યારે છોકરો અન્ય સમાજમાંથી છોકરી લઈ આવે તો તે ચલાવી લેવામાં આવે છે. દરેક જ્ઞાતિઓ પોતાની આઇડેન્ટિટી પોલીટીક્સ રમી રહી છે. જેમાં સ્ત્રીઓને હાથો બનાવવામાં આવે છે. વધુમાં જણાવ્યું હતું કે, છોકરાઓ બહારથી છોકરી લઈને આવે જ છે, તેમાં પણ પટેલમાં આ ચાલ કેટલા વખતથી છે. પુરુષ બહાર લગ્ન કરે તો કોઈ વાંધો હોતો નથી પરંતુ જ્યારે છોકરી અન્ય સમાજમાં લગ્ન કરે તો વાંધો ઉઠાવવામાં આવે છે. સમાજ એવું નક્કી કરી લે છે કે, સ્ત્રી અમારી માલિકી છે અને અમે તેને બીજે નહીં જવા દઈએ, આ પ્રકારની આઈડેન્ટિટી પોલીટીક્સ દરેક સમાજ રમી રહ્યો છે. સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે. ગુજરાત સોસાયટીમાં પુરુષો વધારે છે અને તેની સામે સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. જેથી બહારથી છોકરી લાવો તો કોમ્પિટિશનની સ્થિતિ ઊભી થઈ શકે. જેથી દરેક દરેક જ્ઞાતિ આના નામે પોતાનું પોલિટિક્સ રમે છે. કાયદો બન્નેને સરખા ગણે છે કે પુખ્ત વયના લોકો લગ્ન કરી શકે છે. પરંતુ આંતરજ્ઞાતિય લગ્ન છેલ્લા 30 વર્ષથી ચાલી રહ્યું છે. બાકી અન્ય સમાજમાં લગ્ન કરવું સ્વાભાવિક હતું. હવે ઓનર કિલિંગના સવાલ આવ્યા કે અમારી છોકરી અન્ય સમાજમાં પરણશે તો અમે તેને મારી નાખીશું. તો છોકરો અન્ય સમાજમાં પરણે તો તેને કેમ મારી નથી નાખતા ? પ્રેમલગ્નમાં માતા પિતાની મંજૂરીની કે સહીની સમાજ માંગણીઓ કરે છે તો તે છોકરીઓ માટે જ કરે છે કે છોકરાઓ માટે પણ કરે છે. કોઈ પ્રેમલગ્ન કરે તો તે તેની અંગત ચોઈસ છે, તેનો ક્યારેય વિરોધ ન હોય શકે- ગૌરાંગ જાનીસિનિયર સોશિયોલોજિસ્ટ ગૌરાંગ જાનીએ જણાવ્યું હતું કે, આ દેશમાં 18 વર્ષની યુવતી હોય અને 21 વર્ષનો યુવક હોય તેને જીવન સાથી પસંદ કરવાનો અધિકાર છે. જે લગ્ન કરે છે તે દેશના કાયદા પ્રમાણે કરે છે. કોઈપણ જ્ઞાતિને એવો કોઈ અધિકાર જ નથી કે તે આ લોકોને રોકી શકે અને બહિષ્કાર કરી શકે. જો કોઈ આંતરજ્ઞાતિય લગ્ન કરે તો કોઈને પણ અધિકાર નથી કે સમાજમાંથી બહિષ્કાર કરી શકે. જેની સાથે જીવન પસાર કરવાનું હોય તેની પસંદગી થોડી જ્ઞાતિએ કરવાની હોય છે. વ્યક્તિ જો પસંદગી કરે તો કોઈને વાંધો ન હોવો હોઈએ અરે કોઈ માતા પિતાને પણ વાંધો ન થવો જોઇએ. દરેકને પોતાની વિચારધારા હોય તે સ્વભાવિક છે પરંતુ દેશનો કાનૂન શું કહે છે તે મહત્વનું છે. 'કોઈની વિચારધારા નહીં પણ કાનૂન સર્વોપરી'ગૌરાંગ જાનીએ વધુમાં જણાવ્યું કે, કોઈની કે સમાજની વિચારધારા સર્વોપરી નથી કાનૂન જ સર્વોપરી છે. દેશનો નાગરિક છે તેથી તેને દેશના તમામ અધિકાર મળતા થઈ જાય છે, જે અધિકારનો તે ઉપયોગ કરે છે. 21મી સદીમાં કોઈને પોતાની પસંદગી સાથે લગ્ન કરવા હોય અને તેને કોઈ રોકતું હોય તો તે યોગ્ય નથી. કોઈને પણ લગ્ન કરતા રોકી શકાય નહીં. જો કોઈ રોકે તો તેની સામે ગુનો બનતો હોય છે. અત્યારના સમયમાં સાથે નોકરીએ જતા હોવ, સાથે અભ્યાસ કરતા હોવ તો પ્રેમ થાય તે સ્વભાવિક છે. પ્રેમ સર્વોપરી છે અને તેનાથી જ દુનિયા ચાલે છે. યુવક અને યુવતીના વચ્ચેના પ્રેમને જ કેમ ગુનો ગણવામાં આવે છે. કોઈ પ્રેમ લગ્ન કરે તો તે તેની અંગત ચોઇસ છે તેનો કોઈને વિરોધ ક્યારેય પણ ન હોય શકે. સમાજની ચિંતા નથી સમાજની રૂઢિચુસ્તતા છે. પરંતુ ચિંતા પોતાને પોતાની કરવાની હોય તે માટે સમાજે ચિંતા ન કરવી જોઈએ. જ્યારે વોટ આપી શકે છે ત્યારે તે જ યુવક કે યુવતી પ્રધાનમંત્રી નક્કી કરી શકે, ધારાસભ્ય નક્કી કરી શકે દેશ કોણ ચલાવશે તે નક્કી શકતા હોય તો માણસ પોતાના માટે જીવનસાથી પસંદ કેમ ન કરી શકે ? મતનો અધિકાર આપ્યો હોય તો કાયદા પ્રમાણે તમામ અધિકાર તેમને મળવા જોઈએ. આજથી 100 વર્ષ પહેલા કોઈ લગ્ન કરતું હતું ત્યારે કોઈ સહીની માંગણી કરતું નહતું. લગ્ન જો કાનૂન પ્રમાણે થતા હોય તો તેના માટે પણ કોઈ પણ સહીની જરૂર નથી. માતા પિતાએ પોતાની પસંદગીના આધારે લગ્ન કર્યા ત્યારે કોઈની સહીની જરૂર નહતી. પસંદગીથી લગ્ન કરે તો કોઈની સહી લેવાની કોઈ જરૂર નથી. લગ્ન કાનૂની રીતે હોવા જોઈએ ખૂબ જરૂરી છે. સરકાર જો આ પ્રકારના વલણને ટેકો આપે તેવું સમજી શકાય કે સરકાર કાનૂનને નથી માનતી. કાયદામાં એવી કોઈપણ પ્રકારની જોગવાઈ નથી કે પ્રેમ લગ્ન કરતા સમયમાં બાપે સહી કરવી જોઈએ. આંતરજ્ઞાતીય લગ્નને સર્વ સ્વિકૃતિ ધીમે ધીમે મળી રહી છે. અમે પ્રેમલગ્નના વિરોધી નથી, ભાગેડું લગ્ન સામે અમારો વિરોધ- લાલજી પટેલઆંતરજ્ઞાતિય લગ્નને લઈને પાટીદાર નેતા લાલજી પટેલે જણાવ્યું હતું કે, અમે પ્રેમ લગ્નના બિલકુલ વિરોધી નથી. જે દીકરીઓ કે મા બાપે મોટી કરી હોય જે માંગ્યું હોય એ આપ્યું હોય અને મા બાપે ખૂબ પ્રેમ આપ્યો હોય અને વિશ્વાસ આપ્યો હોય છે. જેથી દરકે મા બાપને એવું હોય છે કે, કોઈ વ્યક્તિ કહી જાય કે તમારી દીકરી બીજા કોઈ સાથે ફરે છે તો મા બાપ એવું જ કહે છે ન મારી દીકરી એવું ન કરે. તો એવા મા બાપ સાથે દીકરીઓ દગો કરી રહી છે. તેમજ જેના સાથે ભાગીને લગ્ન કરે છે તે અસામાજિક તત્વો હોય છે, વ્યસની હોય છે અને કોઈ કામ ધંધો કે પ્રવૃત્તિ કરતા હોતા નથી. જેથી આવા જે ભાગીને લગ્ન કરતા હોય છે તેવા લોકોનો અમે સખત વિરોધ કરીએ છીએ. 'લગ્ન નોંધણીના કાયદામાં સુધારા માટે GMDC ગ્રાઉન્ડ ભરવું પડે તો ભરીશું'બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ભગવાન પછી કોઈ હોય તો તે મા બાપ છે, અને મા બાપના વિરુદ્ધ જે લગ્ન કરે છે તેની સામે અમે છેલ્લા ઘણા વર્ષોથી વિરોધ કરી રહ્યા છીએ. તેમજ અમે સરકારને કહેવા માંગીએ છીએ કે વહેલામાં વહેલી તકે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવામાં આવે. નહિતર દરેક શહેરમાં મહાસંમેલન યોજવામાં આવશે. તેમજ જો GMDC ગ્રાઉન્ડ ભરવું પડશે તો પણ અમે લગ્ન નોંધણીના કાયદામાં સુધારા માટે તે ભરવા પણ તૈયાર છીએ. જેથી અમારી માંગ છે કે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો રોકવામાં આવે. પ્રેમલગ્નની નોંધણી સમયે માતાપિતાની સહમતી ફરજિયાત કરવાની માગગુજરાતમાં પાટીદાર, ઠાકોર સમાજ સહિતના આગેવાનો લાંબા સમયથી પ્રેમલગ્નની નોંધણી સમયે માતાપિતાની સહી ફરજિયાત કરવાની માગ કરી રહ્યા છે. એસપીજીના લાલજી પટેલ તો અલગ અલગ જગ્યાએ સંમેલન યોજી આ માગને બુલંદ બનાવી રહ્યા છે. ચાર મહિના પહેલા આ માગણીને લઈ મહેસાણામાં યોજાયેલી એક જનક્રાંતિ મહારેલીમાં પાટીદાર સમાજના આગેવાને કહ્યું હતું કે, પ્રેમલગ્ન કરનારી દીકરીને મિલકતમાંથી બેદખલ કરવામાં આવે. ભૂતકાળમાં પાટીદાર સમાજ દ્વારા આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ધ્યાન દોરવામાં આવતા જે તે સમયે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, 'લવમેરેજ માટે માતાપિતાની સહી ફરજિયાત કરવા માટે જરુરી અભ્યાસ કરીને નિર્ણય લેવામાં આવશે. બંધારણ ન નડે એ રીતે દીકરીઓના પ્રેમલગ્ન બાબતે કોઈ ચોક્કસ વ્યવસ્થા કરીશું'.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 8:00 am

સીસીઆઈ આધારિત કપાસની ખરીદી કરાઈ:ભરૂચમાં 700 ખેડૂતોનું 8,800 ક્વિન્ટલ કપાસનું વેચાણ‎

ભરૂચ જિલ્લામાં સીસીઆઈ આધારિત કપાસ ખરીદ કેન્દ્ર વાલિયા ખાતે 1 ડિસેમ્બરથી કપાસની ખરીદી ચાલુ કરવામાં આવી હતી.29 દિવસમાં 8800 ક્વિન્ટલ કપાસની ખરીદી કરવામાં આવી છે. વાલીયા પ્રભાત જીનમાં સીસીઆઈ આધારિત કપાસ ખરીદી કરતું એક માત્ર કેન્દ્ર આવેલું છે. કપાસનો બજાર ભાવ નીચે રહેતા ખેડૂતોને સારા ભાવ મળે તે માટે સીસીઆઈ આધારિત કપાસ કેન્દ્ર પર ખરીદી ચાલુ કરવામાં આવી હતી. જોકે શરૂઆતમાં ભેજ વધુ આવતું હોવાના કારણે લોકોને સૂકવીને કપાસ લાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. હાલ કપાસ સુકવેલા આવી રહ્યો છે. તેવું જાણવા મળ્યું છે. આમ અત્યાર સુધીમાં 700 જેટલા ખેડૂતોએ 8800 ક્વિન્ટલ કપાસ નું વેચાણ ટેકાના ભાવે વેચાણ કર્યું છે. જેમ જેમ કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. તેમ તેમ કપાસની ગાંસડી બનાવવામાં આવી રહી છે. જેમાં પ્રભાત જીને 1400 જેટલી ગાસડી બનાવી દેવામાં આવી છે. એક ગાંસડી નો વજન અંદાજે 165 કિલોની આસપાસ હોય છે. જોકે ટેકાના ભાવે વેચાણ કરવા માટે પહેલા રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. હવે 31 ડિસેમ્બર રજીસ્ટ્રેશન કરાવવાનો છેલ્લો દિવસ છે ત્યારે ખેડૂતો રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવામાં આવે તેવી રજૂઆત કરી રહ્યા છે. પ્રતિ કવિન્ટલ ખેડૂતોને 8060 રૂપિયા ચૂકવવામાં આવી રહયાં છે. ત્રણ વર્ષમાં ટેકાના ભાવે‎કપાસના વેચાણની સ્થિતિ‎સીસીઆઈ આધારિત પ્રભાત જીન વાલિયામાં વર્ષ 2023-24 માં 400 ખેડૂતોએ 12 હજાર ક્વિન્ટલ કપાસ નું વેચાણ કર્યું હતું. અને વર્ષ 2024-25 માં 578 ખેડૂતોએ અંદાજે 70 દિવસમાં 14550 ક્વિન્ટલ કપાસ નું વેચાણ કર્યું હતું. વર્ષ 2025-26માં 29 દિવસમાં 700 જેટલા ખેડૂતોએ 8800 ક્વિન્ટલ કપાસ નું વેચાણ કરવામાં આવ્યું છે. હાલ પણ કપાસની ખરીદી ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 7:54 am

બાળકોનું ભવિષ્ય અંધકારમય‎:ચિકદાના જરગામમાં 2 વર્ષથી મકાનના ઓટલા પર અભ્યાસ કરતાં 84 બાળકો

નર્મદા જિલ્લાના નવ નિર્મિત ચીકદા તાલુકાના જરગામની આંગણવાડીનું મકાનનું કામ અધૂરું રહેતા બાળકો આંગણવાડી વર્કરના મકાનમાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. જૂની આંગણવાડી જર્જરીત હોવાને કારણે બે વર્ષ પહેલાં આંગણવાડીને તંત્ર દ્વારા જર્જરિત જાહેર કરી નાના બાળકોને અન્ય જગ્યાએ શિક્ષણ આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. બે વર્ષના વહાણા વીતી ગયા હોવા છતાં આંગણવાડીના મકાનના બાંધકામનું કામ પૂર્ણ ન થતાં હાલ આંગણવાડી વર્કરના ઘરમાં અને ઓટલે બેસાડી બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે. જૂની આંગણવાડી જર્જરીત હોવાને કારણે બે વર્ષ પહેલાં આંગણવાડીને તંત્ર દ્વારા જર્જરિત જાહેર કરી નાના બાળકોને અન્ય જગ્યાએ શિક્ષણ આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. આંગણવાડીને તંત્ર દ્વારા જર્જરિત જાહેર કરી હતી. આંગણવાડીની મકાનમંજુર થઈ ગઈ હોવા છતાં બે વર્ષ જેવો લાંબો સમયગાળો વીતી ગયો હોવા છતાં નાના ભૂલકાઓને ભાડાનાં મકાનમાં રહી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. જરગામની આંગણવાડી 84 જેટલા નાના બાળકો તેમજ 3 સગર્ભા બહેનોની તેમજ 7 જેટલી ધાત્રી માતાઓ હાલ ગુજરાત સરકારની યોજનાઓનો આંગણવાડીમાં લાભ લઈ રહ્યા છે તેમને બેસવા માટેનું મકાન, શૌચાલય, પાણીની સુવિધા રમત ગમત માટેનું મેદાન બિલ્ડીંગને ફરતે યોગ્ય કમ્પાઉન્ડ વોલ ન હોવાને કારણે અસુવિધા ઉભી થાય છે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 7:51 am

ખનીજ માફિયાઓમાં ફફડાટ:ભુજના કુનરીયા, માંડવીના રાયણમાં ખનીજ ચોરી કરતા 2 ડમ્પર પકડાયા

જિલ્લા કલેકટર દ્વારા ખનીજ ચોરીને રોકવા માટે ટાસ્ક ફોર્સ ઉભી કરવામાં આવતા છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ વિસ્તારોમાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં હવે ભુજ તાલુકાના કુનરીયા અને માંડવીના રાયણ નજીકથી રોયલ્ટી વગર ખનીજ ભરી જતા બે ડમ્પર ઝડપી લેવામાં આવ્યા છે. શનિવારે ટાસ્ક ફોર્સ અને પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા સંયુક્ત કાર્યવાહી કરી ખનીજ ચોરી મામલે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.એ દરમિયાન માંડવી તાલુકાના રાયણ ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલ પરથી પસાર થતા ડમ્પર નંબર જીજે 12 એડબ્લ્યુ 0193 વાળાને રોકાવ્યો હતો. જેનો ચાલક મેઘજી જીવા જોગી અને માલિક ગઢવી ભરત દેવાંધ હોવાનું સામે આવ્યું હતું.તપાસ કરતા ડમ્પરમાં 19 ટન રેતી રોયલ્ટી વગર ભરેલી હોવાનું જાણવા મળ્યું હતું.જ્યારે બીજી તરફ કુનરીયા નાના ગામ પાસેથી ડમ્પર નંબર એનએલ 06 એ 9959 ના ચાલક નવીન નાગજી મારાજને રોકાવ્યા હતા.ત્યારે ડમ્પરના માલિક અરુણ છાંગા હોવાનું અને ડમ્પરમાં રોયલ્ટી વગર 28 ટન મોરમ ભરેલું હોવાનું સામે આવ્યું હતું. ટાસ્ક ફોર્સ અને એલસીબીની ટીમે બન્ને ટ્રક અને ખનીજ સહીત 35 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 7:47 am

8000 ખૈલૈયાઓ મનભરી ઝૂમ્યા:‘મારું મન મોર બની થનગાટ કરે’ : મહારાસે રંગ જમાવ્યો

જૂના-નવા ફિલ્મી ગીત, કચ્છી ફોક, ગુજરાતી-પંજાબી સંગીતે મઢ્યા ગીતોની રસલ્હાણે ભુજમાં કીર્તિ વરસાણી ફેઈમ સંગીત સંધ્યામાં શ્રોતાઓને રસતરબોળ કર્યા હતા. યમન કલ્યાણ, દરબારી સહિતની નવતર રજૂઆતો થઈ હતી. રાસોત્સવમાં 8000 ખેલૈયાએ ‘મહા’ શબ્દ સાર્થક કરી દેખાડ્યો હતો. ભુજની મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ રિસર્ચ-સેન્ટરને 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતી પર્વ ઉજવણીને યાદગાર બનાવતી સાંજે સમાજ સુરમય બન્યો હતો. એક બાજુ પરંપરાગત વેશભૂષામાં યુવક-યુવતીઓ, છાત્રો તો બીજી બાજુ ઠાકર થાળીના અંદાજમાં 80થી 90 વર્ષના આગેવાનો પણ રાસે રમ્યા હતા. અનિરુદ્ધ આહિર, પૂનમ ગઢવી સાથે સમાજના ઉભરતા કલાકારોએ પણ કામણ પાથર્યા હતા. ખેલૈયાને જોવા ચોવીસીના આઠેક હજાર જ્ઞાતિજનો હાજર થયા હતા. એક તબક્કે રમવા માટે જગ્યા ટૂંકી પડી હતી. આસપાસની બિલ્ડીંગો સહિત મુખ્ય કલાકાર મંચ રંગબેરંગી લાઈટોથી સુશોભિત હતો. એરકેસ્ટ્રા ટીમના લીડર કીર્તિભાઈનું વિશેષ સન્માન સમાજ પ્રમુખ વેલજીભાઈ પીંડોરીયા, અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસીયાએ કર્યું હતું. લકી ડ્રો વિજેતાને ઇનામો અપાયા હતા. વડીલોનો આર.આર. પટેલ, આર.એસ. હિરાણી, ધનજી ભંડેરી, વેલજી રાબડીયા, વી.કે. પટેલ, કરસન દુબાસીયા, જાદવા પરબત, કરસન પ્રેમજી ભુડીયા, મૂળજીભાઈ પિંડોરીયા, દેવસીભાઈ હાલાઈ, આર.ડી. વરસાણી, કેશવલાલ ભુડીયા, પરબત કાનજી હિરાણી, કાનજી પ્રેમજી દબાસિયા, લક્ષ્મણભાઈ રાઘવાણી, કરસન રવજી કારા સહિતના તમામને યાદ કરતા ઋણ સ્વીકારાયું હતું. ચોવીસીના કાર્યકરોની સમાજ પરસ્તી : શ્રીમંત પરિવારના યુવાઓ સેવામાં જોડાયાપાર્કિંગ, રસોડું, પ્રસાદાલય, ફળફળાદિ સ્ટોલ, સફાઈ જેવા પડદા પાછળના કાર્યોમાં ચોવીસી ગામોના યુવક-યુવતીઓએ ત્રણ દિવસ સમર્પિત થઈ સેવા આપી હતી. રસોઇ, પાણી, એઠાં વાસણ-કચરો સહિતના કાર્યો શ્રીમંત પરિવારોના સભ્યોએ જાતે સંભાળી લીધા હતા. દૈનિક 5થી 7 હજાર લોકો અડદિયા, કચ્છી શિરો, ખીચડી, ફૂલવડી, પાપડ, ખમણ, રોટલી, શાક, દાળ, ભાત અને છાસ પીરસી હતી. મોટા આયોજનમાં ક્યાંય કચરો જોવા મળ્યો નહોતો. દાતા પરિવારના પુષ્પાબેન હસુ ભૂડિયાએ જાતે જઈ સ્વયંસેવકોને બિરદાવ્યા હતા. સેવા ભલે કરો પણ તમામ હિસાબોની તપાસ રાખોસેવા કાર્યોમાં શિરમોર કચ્છના બિનનિવાસી દાતરોને સેવાને નામે વેડફાતા નાણા સામે સાવધ કરતાં ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસીયાએ કહ્યું સેવા ભલે કરો, ઈચ્છા થાય ત્યાં દાતારી ભલે દાખવો પણ બિઝનેસ ક્લાસની ટિકિટે ફરતા સંચાલકો, સર્જરીઓના લિસ્ટ સાથે અપાતા હિસાબોને ઝીણવટપૂર્વક તપાસો. મશીન, ઉપકરણો, દાન આપો એ કેટલા વપરાય છે તે પણ જુઓ. સમાજ પ્રમુખ વેલજીભાઈ પિંડોરીયાએ પણ તળપદા શબ્દોમાં સૌને ભલામણ કરી હતી. પૂર્વ છાત્રની પ્રેરક સખાવતસંસ્થાની સ્થાપના સમયે આર.ડી.ના પૂર્વ વ્યવસ્થાપક રહેલા નીતિનભાઈ કલ્યાણ કેરાઈ, હિતેશ ભુવા પરિવારોએ જરૂરિયાતમંદ છાત્રો પૈકી 100ને દત્તક લેતા ₹1.51 કરોડ જેટલી મોટી રકમ જાહેર કરી સંસ્થાના પરિશ્રમને સંતોષ થાય તેવી લાગણી દર્શાવવી હતી. બંને પૂર્વ છાત્રોએ માતા-પિતા કલ્યાણભાઈ શામજી કેરાઈ, રાધાબેન (ભારાસર) અને કાનજી શિવજી ભુવા, વેલબાઈ (સુખપર)ની પ્રેરણાથી સમાજનું ઋણ ચૂકવ્યું ત્યારે સમગ્ર પરિવાર હાજર રહ્યો હતો. બે મહિનાથી ચાલતી ઉજવણીને વિરામરસોઈ સ્પર્ધા, આશા વર્કર મિલન, આઈએએમ, સેવા સંસ્થાઓનો સિલ્વર કોન, મહિલા સંમેલન, સાંખ્યયોગી મિલન સહિતના અનેક આયોજનો છેલ્લા બે માસની અવિરત રહ્યા હતા. મુખ્ય મહોત્સવના વિરામ સાથે નવા સંકલ્પ સમેટી પર્વની ઉજવણીને વિરામ અપાયો હતો.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 7:38 am

ચોરો ઝડપાયા:નારણપર(રોહા)માંથી 3.27 લાખની ચોરી કરનાર ૩ પકડાયા

નખત્રાણા તાલુકાના નારાણપર (રોહા) ગામની સીમમાં આવેલ સેમ્બકોર્પ ગ્રીન ઇન્ફ્રા વિન્ડ એનર્જીના સબ સ્ટેશન પર આવેલા બંધ કન્ટેનર અને ખુલ્લા સ્ક્રેપ યાર્ડમાંથી ગ્રીસની ડોલ અને તાંબાના બેરીંગ સહીત ૩.27 લાખનો મુદ્દામાલ ચોરી કરનાર નખત્રાણાના ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. નખત્રાણા પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,નખત્રાણાના રામદેવનગરમાં રહેતો આરોપી માવજી ખેતા સીજુ,પ્રવીણ તુલશીદાસ બુચિયા અને ભરત તુલસીદાસ બુચિયા ચોરી કરેલો મુદ્દામાલ બોલેરો ગાડીમાં ભરી વેચવા જવાના છે. બાતમીને આધારે પોલીસે વોચમાં રહી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા.આરોપીઓએ નારાણપર(રોહા) સીમમાં આવેલ સબ સ્ટેશન પર બંધ કન્ટેનરની બારી તોડી અંદર પ્રવેશ કર્યો હતો.જે બાદ તેમાં રાખેલ રૂપિયા 2.86 લાખની કિંમતના ગ્રીસની 12 ડોલ તેમજ ખુલ્લા સ્ક્રેપ યાર્ડમાં રાખેલ પવનચક્કીની મેઈન તાંબાની બેરીંગ,લોખંડની રીંગ,કપલિંગ,ગીયર પીનીયર અને એલ્યુમીનીયમ વાયરના ટુકડા સહીત કુલ રૂપિયા ૩.27 લાખનો મુદ્દામાલ ચોરી કર્યો હતો.જે બાબતે ફરિયાદી છોટુસિંહ ઘનરામસિંહ સીકરવારે ગુનો નોધાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 7:32 am

ગોઝારો અકસ્માત સર્જાયો:ધાણેટી નજીક કારની ટક્કરથી શિકરાના ટ્રક ચાલકનું મોત

તાલુકાના ધાણેટી ગામ નજીક હાઈવે પર અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રોડ પર ટ્રક પાર્ક કરી નીચે ઉતરતા ચાલકને કારની ટક્કરથી ગંભીર ઈજાઓ પહોચતા મોત નીપજ્યું હતું. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ ભચાઉ તાલુકાના શિકરા ગામના 35 વર્ષીય હરેશ કોલી નામના યુવાનનું અકસ્માતમાં મોત થયું હતું. બનાવ સોમવારે સાંજે ચાર વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી ટ્રક ચાલકે ટ્રકને ધાણેટી નજીક રોડ પર પાર્ક કર્યો હતો. એ દરમિયાન કારના ચાલકે તેને હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોચી હતી. અકસ્માતના બનાવ બાદ તેને તાત્કાલિક સારવાર માટે ભુજની જી.કે.જનરલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ભાસ્કર ઇનસાઇડધાણેટી આસપાસના રોડ જોખમી બન્યાધાણેટી આસપાસ હાલ તમામ માર્ગો જોખમી બન્યા છે. ભુજ અને ભચાઉ તરફ જતા માર્ગનું કામ ચાલુ છે. જે આડેધડ ખોદી દેવાયું છે. બીજીબાજુ રતનાલ તરફ જતા માર્ગ પર પણ સતત ભારે વાહનો દોડતા રહે છે. માર્ગ સલામતીના કોઇ નિયમો અહીં પાળવામાં આવતા નથી.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 7:23 am

ભાસ્કર લાઈવ:સ્ટેશન રોડ પર ટ્રાફિક વકર્યો, આડેધડ પાર્કિંગ જવાબદાર

શહેરના હાર્દ સમાન ન્યૂ સ્ટેશન રોડ પર સોમવારે બપોરે ટ્રાફિકની સમસ્યા સર્જાતા વાહનચાલકો અને રાહદારીઓ કંટાળી ગયા હતા. ખાસ કરીને વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકો, હોટલો, વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો ધરાવતા આ વિસ્તારમાં આડેધડ પાર્કિંગની સમસ્યા હવે માથાનો દુખાવો બની રહી છે. ન્યૂ સ્ટેશન રોડ પર પેટ્રોલપમ્પ તેમજ બેંકની સામે ‘નો-પાર્કિંગ’ ના બોર્ડ છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. પાર્કીંગની જગ્યા ન હોવાથી વાહનો મોટાભાગે રોડ પર પાર્ક થતા હોવાથી રસ્તો સાંકડો બની જાય છે. ટ્રાફિક જામની સૌથી વધુ અસર બપોરના સમયે જોવા મળે છે કારણકે સ્થાનિક વેપારીઓ ભોજન માટે ઘરે જઈ રહ્યા હોય છે. શાળાઓ છૂટતી હોવાથી સ્કૂલ બસો અને ખાનગી વાહનોની અવરજવર વધી જાય છે એસ.ટી. અને અન્ય લક્ઝરી બસો પણ આ જ માર્ગ પરથી પસાર થતી હોય છે ઉપરાંત હોટલો હોવાથી હાલમાં પ્રવાસીઓની પણ ભારે અવરજવર છે એક તરફ તાપ અને બીજી તરફ વાહનોની લાંબી કતારોને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા વાહનચાલકોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, આડેધડ પાર્કિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે. ભાસ્કર ઇનસાઇડઆ રોડ પર પાર્કિંગ પ્લોટ નથી !મેટ્રો સિટીમાં પાર્કિંગ પ્લોટ હોય છે તેમજ રોડની સાઇટમાં પટ્ટા દોરેલા હોય છે જેથી વાહનચાલકો ત્યાં જ વાહનો પાર્ક કરે તેમજ સિગ્નલની વ્યવસ્થા હોય છે. જોકે ન્યુ સ્ટેશન રોડની પરિસ્થિતિ તદ્દન અલગ છે. ટ્રાફીક સિગ્નલ વર્ષોથી બંધ છે તેમજ મોટાભાગની દુકાનો, કોમ્પ્લેક્ષ અને હોટલોની બહાર જગ્યા દબાવી લેવામાં આવી છે ખરેખર આ જગ્યાનો પાર્કિંગ માટે ઉપયોગ કરવામાં આવે તો પણ ટ્રાફીકની સમસ્યા ઉકેલાય તેમ છે રોડ પહોળા થાય ત્યારે પણ કમસેકમ વાહન પાર્ક કરવા માટે યોગ્ય પટ્ટા દોરવા જોઈએ અને પાર્કિંગ પ્લોટ સાથે વાહનો રાખવા માટે જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 7:22 am

જોખમી માર્ગ:નાગોર બ્રિજ અને GIDCનો માર્ગ બન્યો અકસ્માત ઝોન

ભુજ શહેરની નજીક આવેલું જીઆઇડીસી (GIDC) વિસ્તાર જિલ્લા મથકનું એક ઔદ્યોગિક કેન્દ્ર છે. અહીં નાનાથી લઈ મોટા ઉદ્યોગો કાર્યરત હોવાથી દિવસભર ભારે વાહનવ્યવહાર જોવા મળે છે. જીઆઇડીસી નજીકથી જ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતો હોવાથી આ વિસ્તાર હાલ ટ્રાફિક સમસ્યા અને વારંવાર થતા અકસ્માતો માટે ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ, સ્પીડ બ્રેકર, સ્પષ્ટ સંકેતો અને સુરક્ષિત પ્રવેશ-નિષ્ક્રમણ વ્યવસ્થા ન હોવાને કારણે જોખમ વધુ વધી રહ્યું છે. આ વિસ્તાર પાસે એપીએમસી (એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી) આવેલ હોવાથી ખેતીજન્ય ઉત્પાદન લઈ આવનારા તથા જતાં વાહનોની સંખ્યા પણ મોટી છે. અનાજ, શાકભાજી અને અન્ય કૃષિ પેદાશો ભરેલા વાહનોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી જીઆઇડીસી કે એપીએમસી તરફ વળતી વખતે મુશ્કેલી પડે છે, જેના કારણે સમયનો વ્યય થવા સાથે માલસામાનને નુકસાન પહોંચવાની શક્યતા પણ રહે છે. સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગ સંચાલકોનું માનવું છે કે માત્ર રાષ્ટ્રીય ધોરીમાર્ગનું સંચાલન પૂરતું નથી, પરંતુ જીઆઇડીસીના માર્ગો માટે પણ ખાસ આયોજન જરૂરી છે. આ મુદ્દે એપીએમસી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય પગલાં લેવા માંગણી કરવામાં આવી છે. આવેદનમાં સર્વિસ રોડને વધુ સુવ્યવસ્થિત કરવો, અન્ડરપાસ અથવા ઓવરબ્રિજની વ્યવસ્થા, ટ્રાફિક સંકેતો અને સ્પીડ કંટ્રોલ જેવા ઉપાયો કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. હાલમાં જો તંત્ર દ્વારા સમયસર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં અકસ્માતોની સંખ્યા વધવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. છે. આ મુદ્દે એપીએમસી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય પગલાં લેવા માંગણી કરવામાં આવી છે. આવેદનમાં સર્વિસ રોડને વધુ સુવ્યવસ્થિત કરવો, અન્ડરપાસ અથવા ઓવરબ્રિજની વ્યવસ્થા, ટ્રાફિક સંકેતો અને સ્પીડ કંટ્રોલ જેવા ઉપાયો કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. હાલમાં જો તંત્ર દ્વારા સમયસર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં અકસ્માતોની સંખ્યા વધવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ રોડ પર ડ્રાઇવરો સાવચેતી રાખે છતાં અનેક વખત અકસ્માત ટળતા નથીરાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી ખૂબ ઝડપે પસાર થતા ભારે વાહનો અને બીજી તરફ સર્વિસ રોડ તેમજ જીઆઇડીસીના આંતરિક માર્ગોથી બહાર નીકળતા ટ્રક, ટ્રેલર, ટેમ્પો અને અન્ય વાહનોને કારણે અકસ્માતની શક્યતા સતત વધતી જઈ રહી છે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન વાહનોના ક્રોસિંગ સમયે ડ્રાઇવરોને ભારે સાવચેતી રાખવી પડે છે, છતાં અનેક વખત અકસ્માત ટળતા નથી.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 7:20 am

ભાસ્કર એક્સક્લુસિવ:ભુજ-બરેલી આલા હઝરત ટ્રેન લખનૌ સુધી લંબાશે

ભુજથી ઉત્તર ભારત જવા ખૂબ ઉપયોગી અને બારેમાસ ફૂલ રહેતી ભુજ-બરેલી આલા હઝરત એક્સપ્રેસના રૂટનું વિસ્તરણ કરવાની યોજના છે જેમાં આ ટ્રેનને લખનૌ સુધી લંબાવવામાં આવશે. આ માટે ઉત્તર પૂર્વીય રેલ્વે તંત્રે રૂટના વિસ્તરણ અંગે રેલ્વે બોર્ડને પ્રસ્તાવ મુક્યો છે જેને ટૂંક સમયમાં મંજૂરી મળતા પ્રવાસીઓને ફાયદો થશે. આ સંભવિત પ્રસ્તાવમાં ટ્રેનને પીલીભીત, મૈલાની, લખીમપુર અને સીતાપુર થઈને લખનૌ જંકશન સુધી લંબાવવાનો સમાવેશ થાય છે. પ્રસ્તાવ મુજબ, ટ્રેન નંબર 14311 આલા હઝરત એક્સપ્રેસ સોમવાર, બુધવાર, શુક્રવારે રાત્રે 10 વાગ્યે બરેલીના બદલે લખનૌ જંક્શનથી ઉપડશે, સીતાપુરથી 12:10 વાગ્યે, લખીમપુરથી 12:52 વાગ્યે, ગોલાથી 1:22 વાગ્યે, મૈલાનીથી 2 વાગ્યે, પુરણપુરથી 2.55 વાગ્યે, પીલીભીતથી 4 વાગ્યે, ઇજ્જતનગરથી 5:10 વાગ્યે અને બરેલીથી સવારે 6:35 વાગ્યે ઉપડશે. ત્યારબાદ ટ્રેન તેના નિર્ધારિત સમય મુજબ ભુજ તરફ આગળ વધશે જ્યારે ટ્રેન નંબર 14312 આલા હઝરત એક્સપ્રેસ ભુજથી બરેલી પહોંચ્યા બાદ મંગળવાર, ગુરુવાર અને શનિવારે બરેલીથી રાત્રે 9.25 વાગ્યે ઉપડશે બાદમાં ઇજ્જતનગર રાત્રે 10:05 વાગ્યે, પીલીભીત 11:10 વાગ્યે, પૂરણપુર 12:15 વાગ્યે, મૈલાની 1:10, ગોલાથી 1: 32 વાગ્યે, લખીમપુર રાત્રે 2:02 વાગ્યે અને સીતાપુર રાત્રે 2:45 વાગ્યે અને સવારે 4:45 વાગ્યે લખનૌ પહોંચશે. ભુજ કે બરેલીના સમયમાં કોઈ ફેરફાર નથી માત્ર રૂટ વિસ્તરણ કરવાની યોજના છે. જેને મંજુરી આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આલા હઝરત એક્સપ્રેસ ટ્રેનો ભીલડી થઈને દોડશે.મહેસાણા રૂટની અન્ય ટ્રેનોને પણ લખનૌ સુધી વિસ્તરણ આપવામાં આવશે. ચાર રાજ્યોમાંથી ટ્રેન પસાર થાય છેભુજથી બરેલી માટે હાલમાં જે ટ્રેન દોડે છે તે ચાર રાજ્યોમાંથી પસાર થાય છે.જેમાં ગુજરાતમાં ગાંધીધામ, સામખિયાળી, ભીલડી, પાલનપુર તેમજ રાજસ્થાનમાં આબુરોડ, મારવાડ, અજમેર, કિશનગઢ, જયપુર, અલવાર, દિલ્હીમાં ગુરુગાંવ, દિલ્હી, સરાઇરોહિલ્લા તેમજ યુપીમાં ગાઝિયાબાદ, હાપુર, મોરાદાબાદ અને બરેલી પહોંચે છે.લખનઉ સુધી વિસ્તરણ થાય તો પ્રવાસીઓને વધારે ફાયદો થશે. અયોધ્યા-કાનપુર નજીક, ધાર્મિક પર્યટનને મળશે વેગહાલમાં અયોધ્યા જવા માટે કચ્છથી કોઈ ટ્રેન નથી.ઉત્તર પ્રદેશમાં બરેલી સુધી ટ્રેન જાય છે ત્યાંથી અયોધ્યા અંદાજે 400 કિલોમીટર થાય છે ટ્રેન લખનૌ સુધી લંબાવવામાં આવશે તો ત્યાંથી અયોઘ્યા 135 કિલોમીટર અને કાનપુર 90 કિલોમીટર થાય છે. લખનૌ શહેર ઉત્તરપ્રદેશની રાજધાની છે જેથી કચ્છમાં કામ કરતા લાખો પરપ્રાંતિય શ્રમિકોને પોતાના ગામ જવા ફાયદો થવા સાથે આ રૂટ વિસ્તરણ વેપાર, રોજગાર અને ધાર્મિક પર્યટનને પણ વેગ આપશે.ખરેખર કચ્છના પ્રતિનિધિઓ અને સંસ્થાઓ દ્વારા આ રૂટને મંજુરી આપવામાં આવે તેવી માંગ કરવી જોઇએ.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 7:17 am

ભાસ્કર બ્રેકિંગ:ટ્રાફિક સમસ્યા દૂર કરવા જયુબિલી સર્કલની ચોમેર ‘પે એન્ડ પાર્ક’ બનશે

ભુજ શહેરમાં ટ્રાફિકની સૌથી ગંભીર સમસ્યા ધરાવતું કેન્દ્ર જો કોઈ હોય તો તે છે જયુબિલી સર્કલ. ભુજ તરફ આવતા મોટા ભાગના તમામ માર્ગો અહીં ભેગા થતા હોવાથી શહેરમાં પ્રવેશતા તથા બહાર જતા વાહનોને ફરજિયાત આ સર્કલ પરથી પસાર થવું પડે છે. કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારો ઉપરાંત કચ્છ બહારથી આવતા મુલાકાતીઓ, પ્રવાસીઓ અને વ્યાપારીઓ માટે પણ જયુબિલી સર્કલ મુખ્ય પ્રવેશદ્વાર સમાન છે. પરિણામે દિવસભર અહીં ભારે વાહનવ્યવહાર જોવા મળે છે. આ ઉપરાંત જયુબિલી સર્કલ આસપાસ કલેક્ટર કચેરી, કોર્ટ સંકુલ, પોલીસ અધિક્ષકની કચેરી, બહુમાળી ભવન, સિટી સર્વે, મામલતદાર કચેરી સહિતના મહત્વના સરકારી મુખ્ય મથકો આવેલા હોવાથી અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારોના વાહનો મોટી સંખ્યામાં અહીં આવે છે. યોગ્ય અને વ્યવસ્થિત પાર્કિંગ પ્લોટની અછતને કારણે અનેક વાહનો રોડ પર જ પાર્ક કરવામાં આવતા હતા, જેના કારણે વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતી હતી અને નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ લાંબા સમયથી ચાલતી સમસ્યાના ઉકેલ માટે હવે વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. વાસ્તવમાં આ નિર્ણય ભુજ શહેર માટે બહુ જ જરૂરી અને નાગરિકોને સગવડતા આપતો સાબિત થશે. કલેક્ટરથી લઈને તમામ સંલગ્ન તંત્રના અધિકારીઓ તથા રાજકીય નેતાઓ દ્વારા નિષ્પક્ષ રીતે લેવાયેલો આ પગલું અમલમાં આવે તો જયુબિલી સર્કલની ટ્રાફિક સમસ્યા ઘણી હદ સુધી દૂર થવાની આશા છે. કોઈ દબાણ હશે તે દૂર કરીને વિશાળ પાર્કિંગ પ્લોટ બનાવાશેપ્રાંત અધિકારી, નગરપાલિકાના મુખ્ય અધિકારી તથા ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સીઈઓ અનિલ જાદવે માહિતી આપતા જણાવ્યું કે ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈ તમામ સંલગ્ન તંત્રોની સંયુક્ત બેઠક યોજાઈ હતી. બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં પાર્કિંગની સુવિધા વિકસાવવામાં આવશે, જેમાં સૌથી મહત્વપૂર્ણ પ્રાથમિકતા જયુબિલી સર્કલને આપવામાં આવી છે. જયુબિલી સર્કલ વિસ્તારમાં આવેલી સરકારી જમીનનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. અહીં જો કોઈ દબાણ હશે તો તે દૂર કરીને વિશાળ પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવશે. આ પાર્કિંગ ‘પે એન્ડ પાર્ક’ મોડેલ પર વિકસાવવાની યોજના છે, જેથી એક તરફ ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને બીજી તરફ નગરપાલિકાને આવક પણ થશે. અંદાજે 500થી વધુ વાહનો એક સાથે પાર્ક કરી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવાની યોજના છે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 7:16 am

ગમખ્વાર અકસ્માત સર્જાયો:ખાટુ શ્યામ દર્શનેથી પરત ફરતા અનગઢના પરિવારનો કાર અકસ્માત,પરિણીતાનું મોત

અનગઢ રહેતા પ્રકાશ પરમારનો પરિવાર રાજસ્થાન ખાટુશ્યામ મંદિરે દર્શન કરવા ગયો હતો. રવિવારે સવારે રાજસ્થાનથી વડોદરા આવતા નાહરગઢ ચોકડી પાસે ટ્રકે કારને ટક્કર મારતા કારમાં સવાર પ્રકાશભાઈના પુત્રવધુ હેતલનું મોત થયું હતું. પ્રકાશ અને તેમના ભાઈ મૂકેશનો પરિવાર રણુજા રામાપીરના દર્શન કરવા ગયા હતા. પ્રકાશભાઈનો પરિવાર વડોદરા આવી ગયા હતા જ્યારે તેમનો દીકરો-પુત્રવધુ, ભાઈ-ભાભી અને દીકરી ખાટુશ્યામ દર્શને ગયા હતા. તેઓ પરત આવતા હતા ત્યારે નાહરગઢ ચોકડી પાસે વળાંક લેતાં કાર ટ્રકમાં ઘૂસી હતી. તમામને ઈજા પહોંચી હતી જોકે હેતલબહેનનું મોત નિપજ્યું હતું. બીગોદ પીઆઇએ જણાવ્યું કે ડ્રાઇવરને ઝોકું આવી ગયાનું પ્રાથમિક તારણ છે. જયપુરમાં હોટલ ન મળતાં ભીલવાડા તરફ ગયા હતાપ્રકાશભાઇએ કહ્યું કે, ભત્રીજાની પરીક્ષા હોવાથી પરત ફર્યા હતા, દીકરો-ભાઇનો પરિવાર ખાટુ શ્યામ ગયા હતા. જયપુરમાં હોટલ ન મળતાં ભીલવાડા વળ્યા હતા.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 7:02 am

ઠગાઈ:સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના વેલ્યુઅર દિલીપ સોનીએ નકલી દાગીના સોનાના હોવાનું સર્ટિ. આપ્યું, આશિફે 7.38 લાખની લોન લઇ લીધી

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની વાઘોડિયા રોડ શાખામાં નકલી સોનાના દાગીના સાચા હોવાનું મુલ્યાંકન કરી સર્ટિ આપી રૂા.4.16 લાખની લોન મંજુર કરાવી છેતરપીંડી કરનારા બેંકના વેલ્યુઅર દિલીપ સોની અને ગોલ્ડ લોન લેનાર આશીફ મલેક વિરૂધ્ધ પાણીગેટ પોલીસમાં ગુનો નોંધાયો છે. આ પહેલા દિલીપ વિરૂધ્ધ વારસીયામાં ગુનો નોંધાયો છે. બેંક મેનેજર અજીત વિક્રમની ફરિયાદ અનુસાર, બ્રાંચમાં વેલ્યુઅર તરીકે પટોડીયા પોળના શ્રધ્ધા જ્વેલર્સના દિલીપ નટવરભાઈ સોનીની નિમણુંક કરી હતી. 2019માં ગોલ્ડ લોન લેવા મંજુસરના કુંપાડનો આશીફ અશરફભાઈ મલેકે ગોલ્ડ આપી રૂા.2.66 લાખ માગ્યા હતા. ઘરેણાંની ચકાસણી દિલીપ સોનીએ કરી તે સોનાના હોવાનું તેમજ વેલ્યુએશન રૂા.3.89 લાખ હોવાનું સર્ટીફિકેટ આપતા બેંકે ગ્રાહકને 10.50 ટકાવ્યાજે રૂા.2.66 લાખની લોન આપી હતી. આશીફે નવેમ્બર 2019માં ફરી વખત ગોલ્ડ આપીને રૂા.4.16 લાખની માંગણી કરી હતી. જેમાં વેલ્યુઅરે સોનાનું વેલ્યુએશન રૂા.6.06 લાખ હોવાનું સર્ટીફિકેટ આપતા બેંકે ગ્રાહકને રૂા.4.16 લાખ લોન આપી હતી. બેંકે દાગીનાની તપાસ કરાવતા તે નકલી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ વેલ્યુઅર દિલીપ સોની અને આશીફ મલેક વિરૂધ્ધ બેંક સાથે રૂા.7.38 લાખની છેતરપીંડી કરી હોવાનો ગુનો પાણીગેટ પોલીસ મથકમાં નોંધાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 7:00 am

હિટ એન્ડ રન કેસ:‘જય આશાપુરા મા’ના લખાણથી અકસ્માત સર્જનાર હાઇવા પકડ્યું

વરણામા વિસ્તારમાં થયેલા હિટ એન્ડ રન કેસનો ભેદ વરણામા પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલીને આરોપી ડ્રાઇવરને ઝડપી લીધો છે. પોલીસે 100થી વધુ સીસીટીવી ફૂટેજનું ઝીણવટભરી રીતે વિશ્લેષણ કરીને હાઈવા અને તેના ડ્રાઇવરને શોધી કાઢ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, હાઈવા પર લખેલા જય આશાપુરામાં અને જય રણછોડ શબ્દોના આધારે પોલીસને હાઈવા ઓળખાઈ ગયું હતું. 17 ડિસેમ્બર 2025ના રોજ રાત્રે આશરે 8.30 વાગ્યે વરણામા ગામની સીમમાં નેશનલ હાઈવે-48 પર વરણામા કટ પાસે થયો હતો. એક અજાણ્યા વાહન ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી રોડ ક્રોસ કરી રહેલા કરખડી ગામના રહેવાસી મફતભાઈ (ઉ.વ. 55)ને અડફેટે લીધા હતા. ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું, જ્યારે આરોપી વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાસ્થળ આસપાસના સીસીટીવીના અભ્યાસમાં અકસ્માત હાઈવાથી થયો હોવાનું બહાર આવ્યું હતું. રાત્રીનો સમય હોવાથી ટ્રકની સીધી ઓળખ શક્ય ન હતી. ત્યારબાદ પોલીસે હાઈવે પર આવેલી હોટલો, ચોકડીઓ અને શહેર તરફ જતા માર્ગોના સીસીટીવી ફૂટેજનું ટેકનિકલ સાધનોની મદદથી ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું. તપાસ દરમિયાન સાવલી ખાતા નજીકના સીસીટીવીમાં એક અશોક લેલેન્ડ કંપનીનો હાઈવા ટ્રક દેખાયો હતો, જેના આગળના કાચ પર “જય આશાપુરામા” અને “જય રણછોડ” લખેલું હતું. ટ્રકના રજીસ્ટ્રેશન નંબરના આધારે હાઈવાના માલિકનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે ટ્રકના ડ્રાઇવર ઉદેસિંહ તખતસિંહ પરમાર (ઉ.વ. 46, રહેવાસી- ઉપલેટ ગામ, ખેડા)ની પુછપરછ માટે બોલાવતા તેણે અકસ્માત કર્યો હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 6:59 am

કલેક્ટર સમક્ષ બાંગ્લાદેશમાં લશ્કરી કાર્યવાહીની માગ:બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસા વિરુદ્ધ બજરંગદળનું આવેદનપત્ર

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા કથિત આતંકવાદી હુમલાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. કલેક્ટર મારફતે કેન્દ્ર સરકાર સમક્ષ કડક પગલાં લેવાની માંગ ઉઠાવવામાં આવી હતી. રાષ્ટ્રીય બજરંગ દળના દક્ષિણ ગુજરાત પ્રાંતના મંત્રી ઉમેશ જોશીએ જણાવ્યું હતું કે, છેલ્લા લાંબા સમયથી બાંગ્લાદેશમાં જેહાદી આતંકવાદીઓ દ્વારા હિન્દુઓ પર નિર્મમ અત્યાચાર થઈ રહ્યા છે. તાજેતરમાં દીપુ દાસને ઝાડ પર લટકાવી સળગાવી દેવાની ઘટના સમગ્ર દેશ અને દુનિયામાં સમાચાર તથા વીડિયો માધ્યમથી સામે આવી છે, જે અત્યંત દુઃખદ અને દયનીય છે. આવી ઘટનાઓ માત્ર બાંગ્લાદેશમાં જ નહીં પરંતુ પાકિસ્તાન સહિત અન્ય ઇસ્લામિક દેશોમાં પણ હિન્દુઓ સાથે થતી રહી છે. હવે બાંગ્લાદેશમાં પણ મોટા પ્રમાણમાં હિન્દુઓને નિશાન બનાવી ‘જેહાદ’ ચલાવવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સંગઠને સરકાર સમક્ષ માંગ કરી કે દોષિતો સામે લશ્કરી કાર્યવાહી કરીને સખત સજા આપવામાં આવે અને ભારત એક શક્તિશાળી દેશ તરીકે વિશ્વ સમક્ષ સ્પષ્ટ સંદેશ આપે કે હિન્દુઓની નિર્મમ હત્યાઓ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 6:58 am

બૂટલેગરને ક્લીનચિટ આપી દેવાનો તખ્તો:બૂટલેગરોને બચાવવા વહીવટદારોનો હથકંડો,વેર હાઉસ સાઇડ લાઇન કરાયું

કરોડિયા કેનાલ રોડ આવેલા રમેશનગરમાં ખુલ્લેઆમ ધમધમતા દારૂના અડ્ડા મામલે વહીવટદારોએ વેર હાઉસના માલિકને બચાવવા માટે નામચીન બૂટલેગર ખાલીદને દારૂનાં માત્ર 7 ક્વાર્ટર સાથે હાજર કરી દીધો હતો. જ્યારે ઈમરાનને ક્લીનચિટ આપી દેવાનો તખ્તો ઘડ્યો છે. બીજી તરફ વેર હાઉસના ડીપ ફ્રિઝરોમાંથી વગે કરેલી બિયરો અને દારૂ અન્ય બૂટલેગરોને વેચવા આપ્યાં હોવાનું પણ પોલીસ સૂત્રોમાંથી જ જાણવા મળ્યું છે. લિસ્ટેડ બૂટલેગર ઈમરાન અને ખાલીદ શેખ જવાહરનગરના વહીવટદારોની રહેમ-નજર હેઠળ ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ચલાવતા હતા. આ બૂટલેગરોને બચાવવા વહીવટદારો આખો ખેલ પાડી રહ્યા છે. પોલીસે ફક્ત ખાલીદને પકડ્યો હતો. જોકે તેના પન્ટરો તો ઠીક ઈમરાનને જાણે પોલીસે અભય વચન આપી દીધું હોય તેમ તેને સમગ્ર કેસથી સાઇડ લાઇન કરી દેવાયો છે. સૂત્રો મુજબ વેર હાઉસમાંથી મોટા પ્રમાણમાં દારૂ પકડાયો હોત તો રેલો જવાહરનગર પોલીસ સ્ટેશનના વહીટવટદારો સુધી પહોંચે તેમ હતો. એટલે જ ઉચ્ચ અધિકારીઓને આડા પાટે ચઢાવી બંને બૂટલેગર માટે સેફ પેસેજ તૈયાર કરી આપ્યો હતો. દારૂના અડ્ડાથી 200 મીટરના અંતરે જ રેલવે યાર્ડ,રેલવે લાઇન મારફતે દારૂનો સપ્લાય કરાતો દારૂના અડ્ડા નજીક તપાસ કરતાં ત્યાંથી ફક્ત 200 મીટરના અંતરે રેલવે યાર્ડ છે અને ત્યાં બૂલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. ત્યારે રેલવે લાઇન મારફતે દારૂ સપ્લાય કરતો બૂટલેગર રિયાઝ ખાલીદ અને ઈમરાનને દારૂ સપ્લાય કરતો હતો. પોલીસ દ્વારા કાર્યવાહી કરાય તો દારૂના અન્ય સપ્લાયને પણ રોકી શકાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલ પણ અંધારામાં રહ્યોકરોડિયા કેનાલ રોડ પર ચાલતા દારૂના વેર હાઉસથી સ્થાનિક પોલીસ, પીસીબી, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી ઉપરાંત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો પણ અંધારામાં રહી હતી. જોકે એસએમસીની ટીમે તેની નોંધ લીધી છે અને અડ્ડા અંગે માહિતી પણ મેળવવામાં આવી રહી છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ત્રણ લિસ્ટેડ બૂટલેગરો મળીને ખેલ પાડતા હતા, સિંધી ગેંગ બાદ બીજી ગેંગ સક્રિય થઈલિસ્ટેડ બૂટલેગર ખાલીદ કાસમ શેખ સાથે લિસ્ટેડ બૂટલેગર ઈમરાન દારૂનો અડ્ડો ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. તેમને બૂટલેગર રિયાઝ રેલવે લાઇનથી દારૂ સપ્લાય કરતો હોવાનું સૂત્રોએ કહ્યું હતું. સિંધી ગેંગ પર પોલીસે કાર્યવાહી શરૂ કરતાં દારૂ પૂરો પાડવા અન્ય ગેંગ સક્રિય થઈ રહી છે. આ દારૂ રેલવે સિવાય રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણાથી સપ્લાય કરાતો હતો.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 6:57 am

ઉચ્ચ અધિકારીની તપાસમાં પોલીસ નિર્દોષ:હરણી પોલીસ સ્ટેશનમાંથી નાસી છૂટેલા 3 આરોપીઓના કેસમાં પોલીસને ક્લીનચીટ!

હરણી પોલીસ મથકમાંથી 3 આરોપી નાસી છૂટવાના ચકચારી બનાવમાં તપાસના અંતે ક્લીનચીટ અપાઈ છે. ગત એપ્રિલ માસમાં હરણી પોલીસ મથકમાંથી પોલીસની નજર સામેથી 4 પૈકી 3 આરોપી નાસી છૂટ્યા હતા. એપ્રિલમાં કલરના વેપારીઓએ છેતરપિંડીમાં આરોપ સાથે છટકું ગોઠવી હરણી હનુમાન મંદિર સામેથી એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. હરણી પોલીસના કોન્સ્ટેબલ મનદીપસિંહ વેપારીઓ અને કથિત ગઠિયા સહિત તેના અન્ય 3 સાગરીતોને લઇને પોલીસ મથક આવ્યા હતા. પોલીસે પકડેલા 4 જણા દારૂ પીધેલા હોવાનું જણાતાં પોલીસે કારમાં તપાસ કરી હતી, જેમાં દારૂની 3 બોટલ મળી હતી. વેપારીઓએ પીઆઇ એસ.વી.વસાવા સમક્ષ ચારેય સામે ઠગાઈની ફરિયાદ નોંધવા રજૂઆત કરી હતી. જોકે હરણી પોલીસે ઠગાઇનો ગુનો નોંધવાને બદલે માત્ર પીધેલાનો કેસ કર્યો હતો. પોલીસ કાર્યવાહી કરે એ પહેલાં 4 પૈકી 3 આરોપી પોલીસની હાજરીમાં નાસી છૂટ્યા હતા. આ અંગે ભાસ્કરે અહેવાલ પ્રસિદ્ધ કરતાં તપાસના આદેશ કરાયા હતા. ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરાઈ હતી. જેમાંહરણી પોલીસને ક્લીનચીટ અપાઈ હતી. લોકોમાં ચર્ચાઈ રહેલા સવાલ? 1. પોલીસ માને છે કે ચાર જણાને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા તો ધરપકડ 1ની જ કેમ કરાઈ? 2. 4 પૈકી 3 આરોપી પોલીસ મથકમાંથી ક્યાં ગયા? 3. 4 પૈકી 3 આરોપી જો હાજર હતા તો તેમની ધરપકડ પાછળથી કેમ કરવામાં આવી? 4. બનાવ સમયે સીસીટીવી બંધ હતા એ શું સંયોગ હતો? 5. વેપારીઓએ ઠગાઇ થયાનું કહ્યું છતાં તપાસ કેમ ન કરી? 6. સીસીટીવી બંઘ હતા તેની જાણ સંબંઘિત વિભાગ કે અઘિકારીને કરાઈ હતી ? આખી તપાસમાં ક્યાંય પોલીસની ભૂલ ન જણાઈઆ બનાવ અંગે જે તે સમયે તપાસ સોંપવામાં આવી હતી. સંપૂર્ણ તપાસમાં ક્યાંય પોલીસની કોઇ ભૂલ જણાઇ આવી નથી. > એન્ડરુ મેકવાન, નાયબ પોલીસ કમિશનર, ઝોન-4

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 6:55 am

શાળા સંચાલકોમાં વિરોધનો સૂર:વિદ્યાર્થીની ઓછી હાજરીથી શાળાઓની ગ્રાન્ટ કપાશે શિક્ષણ વિભાગના નિર્ણયનો સંચાલકો દ્વારા વિરોધ

સરાસરી હાજરીના નિયમ સામે સંચાલક મંડળનો વિરોધ નોંધાવ્યો છે. બોર્ડના પરિણામ આધારિત ગ્રાન્ટ બંધ કર્યાં બાદ હાજરીના નામે ગ્રાન્ટ કાપી લેવવામાં આવી છે. ગ્રાન્ટેડ શાળાઓમાં 60 ટકા કરતાં ઓછી હાજરી હશે તો 80 ટકા ગ્રાન્ટ કપાઇ જશે. ગ્રાન્ટેડ સ્કૂલોમાં 2013માં પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. જેમાં ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરિણામ આધારિત ગ્રાન્ટેડ સ્કૂલોને ગ્રાન્ટ આપવાનું નક્કી કરાયું હતું. આ નીતિ સામે સંચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ રદ કરવા માટે રજૂઆતો કરી હતી. જેના પગલે શિક્ષણ વિભાગ દ્વારા 2023માં પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ રદ કરી 100 ટકા ગ્રાન્ટ આપવાનું નક્કી કર્યું હતું. જોકે બે વર્ષ સુધી આ નિયમ અમલમાં રહ્યા બાદ હવે ફરી નવી ગ્રાન્ટ નીતિ અમલમાં મૂકી છે. નવી ગ્રાન્ટ નીતિ વિદ્યાર્થીઓની સરાસરી હાજરી આધારિત નક્કી કરાઈ છે. જેમાં ગ્રાન્ટેડ સ્કૂલોએ 100 ટકા ગ્રાન્ટ મેળવવી હોય તો શહેરી વિસ્તારમાં 80 ટકા કરતા વધુ અને ગ્રામ્ય વિસ્તારમાં 55 ટકા કરતા વધુ સરાસરી હાજરી હોય તો જ 100 ટકા ગ્રાન્ટ આપવાનું નક્કી કરાયું છે. જ્યારે તેના કરતા ઓછી હાજરીના કિસ્સામાં વિવિધ 4 તબક્કામાં ગ્રાન્ટ કાપી લેવાનો નિર્ણય કરાયો છે. હવે આ નિર્ણય સામે પણ સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યા છે. વડોદરા શહેર-જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ આર.સી.પટેલે જણાવ્યું હતું કે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થી હાજરી માટે એકસમાન ધોરણ હોવા જરૂરી છે. સરકાર શાળાઓમાં વર્ગ વિદ્યાર્થી સંખ્યા, સરાસરી સંખ્યા, વિદ્યાર્થી સંખ્યા હાજરી બાબતે શિક્ષણ વિભાગ મૌન છે. જ્યારે ગ્રાન્ટેડ શાળઓ માટે જ નિભાવ ગ્રાન્ટને વિદ્યાર્થી હાજરી સાથે જોડવાનો અ ઠરાવ લાવવામાં આવે છે જે કુદરતી ન્યાયની દ્રષ્ટિએ પણ યોગ્ય નથી. મરણપથારીએ પડેલી ગ્રાન્ટેડ શાળાઓને ગમે તે રીતે ગ્રાન્ટ કાપ કરીને બંધ કરાવવાની પેરવીમોટાભાગની ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી છે. સંખ્યાબંધ ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઇ ગઇ છે. અમુક બંધ થવાના આરે છે. સરકાર દ્વારા નવી ગ્રાન્ટેડ શાળાઓને પરવાનગી આપવામાં આવી રહી નથી. ગ્રાન્ટેડ સ્કૂલોમાં પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. જે 10 વર્ષ સુધી ચલાવામાં આવી જેમાં પણ ઘણી શાળાઓ બંધ થઇ ગઇ. હવે સરેરાશ હાજરીના નામે ગ્રાન્ટેડ શાળાઓ બંધ કરવાનો આડકરતો પ્રયાસ શરૂ કરી દેવાયો છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ગ્રાન્ટ કાપની નીતિ શહેરી વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 6:50 am

ભવ્ય રમતોત્સવ:શિક્ષણ સમિતિનાં 889 બાળકોએ દેશી યુદ્ધકલાથી રમતોત્સવ ઉજવ્યો

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના રમતોત્સવની શરૂઆત એક નવીન આયામ એટલે કે માર્ચ પાસ્ટ કરવાની સાથે શરૂ કરાઇ હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 10 શાળાના કુલ 889 બાળકો દ્વારા લેઝીમ ટ્રુપ્સ, તલવાર ટ્રુપ્સ, કરાટે ટ્રુપ્સ, યોગા-પિરામીડ ટ્રુપ્સ, લાઠી ટ્રુપ્સ, ડમ્બેલ્સ ટ્રુપ્સ જેવી ભારતીય યુદ્ધ કલાશૈલીનું અદભૂત પ્રદર્શન કરાયું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 29થી 31 ડિસેમ્બરના રોજ યોજાનાર શાળા રમતોત્સવનું ઉદઘાટન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કરવામાં આવ્યું હતું. સવારે આવેલાં બાળકોને ચા-નાસ્તો જ અપાયો,બપોરે સ્કૂલે ભોજન કરાવ્યુંસવારે 7 વાગ્યે બાળકોને પ્રેક્ટીસ માટે બોલાવી લેવાયા હતા. તેમને ચા નાસ્તો જ અપાયો હતો. બપોરના ભોજનની કોઇ વ્યવસ્થા ના કરાતાં શિક્ષકો બાળકોને સ્કૂલે પરત લઇ ગયા હતા અને તેમને મધ્યાહન ભોજન કરાવ્યું હતું. ત્યાર બાદ ફરીથી બાળકો 3.30 વાગ્યે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આવ્યા હતા. રાત્રે 8.30 વાગ્યા સુધી કાર્યક્રમમાં વ્યસ્ત રહ્યા હતા. કાર્યક્રમ બાદ ફૂડ પેકેટ અપાયા હતા. જે વિદ્યાર્થીઓ બપોરે 2 થી 3 વાગ્યા દરમિયાન આવ્યા હતા તેમના માટે બપોરનો ચા નાસ્તાની વ્યવસ્થા નહોતી કરાઈ. કાર્યક્રમ પત્યાના 6 કલાક બાદ ફૂડ પેકેટ મળ્યા હતા. લેઝીમ, તલવાર ટ્રુપ્સ, કરાટે, યોગા-પિરામિડ, લાઠી, ડમ્બેલ્સનું આશ્ચર્યજનક પ્રદર્શન કર્યું ઇનસાઇડ

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 6:46 am

નવો અભિગમ:આર્ટ્સમાં પીએમ નરેન્દ્ર મોદી લિખિત ‘જ્યોતિપુંજ’ના જીવન ચરિત્રાત્મક લેખનનો અભ્યાસક્રમમાં સમાવેશ

મ.સ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના અંગ્રેજી વિભાગના અભ્યાસક્રમમાં નરેન્દ્ર મોદી અને વીર સાવરકર લિખિત પુસ્તકનો સમાવેશ કરાયો છે. એનઇપી-2020 અંતર્ગત ભારતના રાષ્ટ્રીય વિચારકો પર આધારિત અભિગમ અપનાવ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલ ‘જ્યોતિપુંજ’ના આધારે જીવન ચરિત્રાત્મક લેખનનો અભ્યાસ કરાવવામાં આવશે. વીર સાવરકરની આત્મકથા ‘ઇનસાઇડ ધ એનેમી કેમ્પ’નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આર્ટ્સ ફેકલ્ટીમાં અંગ્રેજી વિભાગ દ્વારા બીએ અંતર્ગત ‘ભારત પરના કાલ્પનિક લખાણોનું વિશ્લેષણ અને સમજણ’ નામનો નવો માઇનર કોર્સ શૈક્ષણિક વર્ષ 2025-26થી અમલમાં મૂકવામાં આવ્યો છે. ઉપરાંત વર્તમાન સેમેસ્ટરમાં કુલ 63 વિદ્યાર્થીઓએ આ કોર્સ પસંદ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વીર સાવરકર, પંડિત દિનદયાળ ઉપાધ્યાયના વિષયો સમાવાયા અંગ્રેજી ભાષામાં ભારતીય સાહિત્યકારો અને તત્ત્વચિંતકોને સમાવી પ્રાધાન્ય આપી રહ્યાં છેઆ અભ્યાસક્રમ અંગ્રેજી અભ્યાસને ભારતની રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે સુસંગત બનાવવાની સચેત શૈક્ષણિક પહેલ છે. આ અભ્યાસક્રમ દ્વારા અંગ્રેજી અભ્યાસમાં રાષ્ટ્રવાદ, સંસ્કૃતિ સંબંધિત વિચારધારા અને ભારતીય બૌદ્ધિક પરંપરાનો સચેત સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ગુજરાતી સાહિત્ય કે જેનો અંગ્રેજીમાં અનુવાદ થયો છે તેવા લેખકોનો સમાવેશ કરીને પણ કોર્સ બનાવ્યો છે. ગુજરાતી લીટરેચર ઇન ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરીને વિદ્યાર્થીઓને ભણાવામાં આવે છે. વેદ, ઉપનિષદોનો પણ અંગ્રેજીમાં સમાવેશ કરાયો છે. - પ્રો.હિતેશ રાવિયા, વડા, અંગ્રેજી વિભાગ

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 6:45 am

મિનિ ટેલેન્ટ શો યોજાયો:75 બાળકોએ ગાયન, નૃત્ય અને કોમેડી થકી પ્રતિભા રજૂ કરી, પ્રમાણપત્ર-ઇનામ અપાયા

બાળકોની સર્જનાત્મકતા અને પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે સૃજન એજ્યુકેશન ટ્રસ્ટ તથા સૃજન આર્ટ એન્ડ લિટરેચર ક્લબ દ્વારા આયોજિત મિનિ ટેલેન્ટ શો અને ફેસ્ટિવ ફન ટેલેન્ટ હન્ટ 23 અને 24 ડિસેમ્બરના રોજ યોજાયો હતો. પ્રથમ તબક્કો 23 ડિસેમ્બરના રોજ તલસત પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. જેમાં 75 બાળકોએ ભાગ લીધો હતો. જ્યારે જાહેર કાર્યક્રમ 24 ડિસેમ્બરના રોજ રિલાયન્સ મોલ, ઓ.પી. રોડ ખાતે યોજાયો હતો. બાળકોએ ગાયન, નૃત્ય, કોમેડી તથા સ્કિટ્સમાં પોતાની પ્રતિભા રજૂ કરી. કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે ડૉ. પ્રશોબ સૈની અને રેખા સિંહ, એડવોકેટ કિશોર પિલ્લઈ હાજર રહ્યા હતા. તમામ ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્રો અને ઇનામો આપવામાં આવ્યાહતા. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં રહેલી પ્રતિભા બહાર આવી હતી. સંસ્થા દ્વારા સેંકડો બાળકોનો વિકાસ કરાયોસંસ્થા દ્વારા જણાવાયું હતું કે, બાળકોમાં સુસુપ્ત પ્રતિભા હોય છે. જે બહાર લાવવા માટે આવા કાર્યક્રમ સહાયક બનતા હોય છે. ભાગ લેનાર બાળકમાં કયુ ટેલેન્ટ છે તે પરિવારને પણ જાણ થાય છે. જેથી પરિવાર દ્વારા પણ પોતાના બાળકને આવા કાર્યક્રમોમાં ભાગ લેવડાવવો જોઇએ.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 6:42 am

રાજપૂત સમાજનું સ્નેહમિલન યોજાયું:કુરિવાજો, વ્યસનો દૂર કરી ઉત્થાન માટે રોડમેપ તૈયાર

શહેરના રાજપૂત સમાજ દ્વારા માંજલપુર રાજપૂત ભવન ખાતે સમાજના તેજસ્વી તારલાનું સન્માન અને સમાજને આગળ લઇ જવા વક્તવ્ય યોજાયું હતું. સાથે સમસ્ત ગુજરાતની તમામ રાજપૂત સંસ્થાઓના મહા ફેડરેશનની સંકલન સમિતિના મુખ્ય કન્વીનર વિક્રમસિંહજી મહારાઉલના સૌજન્યથી તા.28મીને રવિવારે સવારે 10થી બપોરે 2માં ઋષિ વેદાંત ફાર્મ, માંગલેજ ગામ પાસે રાજપૂત યુવા એસો.ના પૂર્વ પ્રમુખ અને રાજપૂત સમાજની અનેક સંસ્થા સાથે સંકળાયેલા નરેશસિંહજી ઝાલાના 58માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર રાજપૂત સમાજની એકતા વધુ મજબૂત બને અને સમાજ પ્રગતિના ઉચ્ચ શિખરો સર કરે તે અંગે સામૂહિક પગલાં ભરવા બાબતે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સંમેલનમાં રાજપૂત સમાજ સુધારણા માટેના અને રાજપૂત સમાજમાં વ્યાપેલા અનેકવિધ કુરિવાજો અને વ્યસનો સત્વરે દૂર થાય તેવી પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું તાલુકાવાર આયોજન પણ કરવામાં આવશે. સમાજમાં અંદાજે 6 વિષયો ઉપર કામગીરી કરવામાં આવશે. જેમાં લગ્નમાં લેણદેણ, અભ્યાસ, વ્યસન, મહિલા રોજગારી, ઇતિહાસ અને આંતરજ્ઞાતિય લગ્ન ઉપર કામગીરી થશે. ફેંટા બાંધવાની તાલીમ અને તલવારબાજીના કેમ્પ શરૂ કર્યાંમાંજલપુરમાં યુવાનોને ફેંટા બાંધવાની તાલીમ અને તલવાર બાજી શીખવવામાં આવી રહી છે. સમાજની 6 સમસ્યા અંગે સમાજને આગળ લાવવા કાર્ય કરાશે. > રવિરાજસિંહ સોલંકી, રાજપૂત સમાજના અગ્રણી લેણદેણ,અભ્યાસ, મહિલા આજીવિકા,આંતરજ્ઞાતિય લગ્ન, સમાજનો ઇતિહાસ જેવા વિષયો સામેલ કરાયા ઇનસાઇડ રાજપૂત સમાજમાં કેવી રીતે સુધારો કરાશે? 1. લગ્નમાં લેણદેણ : અંતરીયાળ ગામમાં હજુ પણ સુવર્ણના દાગીના ભેટ આપવાનો રિવાજ છે. સોનાના વઘતા ભાવને પગલે રિવાજો બંધ કરવા સમજાવવામાં આવશે. 2. અભ્યાસ : સમાજના યુવાનો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે તેમને પ્રોત્સાહન આપવા સાથે યોગ્ય સુવિધા આપવા કામ થશે. જેથી સમાજ ઉચ્ચ શિક્ષિત યુવાનોથી આગમી પેઢી તૈયાર થાય . 3. વ્યસન મુક્તિ : સમાજના અનેક ઘર આ દૂષણને પગલે મુશ્કેલી અનુભવી રહ્યાનું અનુભવાય છે. ત્યારે સમાજ વ્યસન મુક્તિ માટે ગામે ગામ કેમ્પ કરશે. 4. મહિલા રોજગારી : સમાજની બહેનો બ્યુટીપાર્લર, શિવણ અને અન્ય વ્યવસાય દ્વારા પગભર થાય તેવી યોજના તૈયાર કરાશે. સરકારી લાભ અને યોજનાથી માહિતગાર કરાશે. 5. આંતરજ્ઞાતિય લગ્ન : બહારની જ્ઞાતિમાં લગ્ન કરવાથી રિવાજો અને માન મર્યાદા સહિતની સમસ્યા ઉભી થાય છે. ત્યારે સમૂહલગ્ન અને જ્ઞાતિમાં પરિચયમેળા સહિતના આયોજન કરાશે. 6. ઇતિહાસ : સમાજનો ભવ્ય ઇતિહાસ છે. જેઅંગે નવી પેઢી માહિતગાર થાય. આગામી નવી પેઢીને હાલ માહિતી નથી હોતી તો યોગ્ય માહિતી તેમજ શૌર્ય ગાથાથી વાકેફ કરાવાશે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 6:42 am

સિટી એન્કર:રાજદીપ સોસાયટીની બેઠકમાં વૃદ્ધે સફાઈનો હિસાબ માગ્યો ઉશ્કેરાયેલાં કમિટીનાં મહિલા સભ્યે છૂટું માઇક માથામાં માર્યું

બગીખાનાની રાજદીપ સોસાયટીમાં રવિવારે સાંજે સોસાયટીના સભ્યોની મિટિંગ ચાલી રહી હતી. જેમાં સોસાયટીના વૃદ્ધ રહીશે સફાઈના હિસાબ વિશે પૂછતાં મહિલા કમિટી મેમ્બર ઉશ્કેરાઈ ગયાં હતાં. તેમણે વૃદ્ધને મોબાઈલ અને માઈક માર્યું હતું, જેથી વૃદ્ધને માથામાં ઈજા પહોંચી હતી. સોસાયટીના રહીશો દ્વારા ઘાયલ વૃદ્ધને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બગીખાનાની બરોડા હાઈસ્કૂલ પાછળ રાજદીપ સોસાયટીમાં રવિવારે સાંજે 5 વાગ્યાના અરસામાં સોસાયટીના સભ્યોની મિટિંગ ચાલી રહી હતી. જેમાં સોસાયટીના ખર્ચના હિસાબો વિશે વાત ચાલી રહી હતી. જેમાં સફાઈનો ખર્ચ 56 હજાર બતાવ્યો હતો, જેથી સોસાયટીમાં ડી-183માં રહેતા 74 વર્ષીય દિનેશભાઈ ઠક્કરે આ હિસાબ વિશે પૂછ્યું હતું. મિટિંગમાં સોસાયટીના કમિટીનાં સભ્ય પ્રેરણા ગાયવાલા ડાયસને બદલે સભ્યોની સાથે બેઠાં હતાં. દિનેશભાઈએ હિસાબ બાબતે સવાલ ઉઠાવતાં પ્રેરણાબહેન જેમ તેમ બોલવા લાગતાં તેઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જે બાદ પ્રેરણાબહેને દિનેશભાઈને મોબાઈલ અને માઈક માથામાં માર્યું હતું, જેમાં તેઓને માથામાં ઈજા થઈ હતી. સોસાયટીના સભ્યો વૃદ્ધને સયાજી હોસ્પિટલ લઈ ગયા હતા અને ઘટના વિશે નવાપુરા પોલીસ મથકને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, વૃદ્ધ બીએસએનએલના નિવૃત્ત કર્મચારી છે. અમારી બાજુ સફાઈ કરાતી નથી, વૃદ્ધે પૂછતાં મહિલાએ કહ્યું, સી-ડી વિંગવાળા બદમાશ છોમેં સાફ-સફાઈના હિસાબ વિશે પૂછ્યું ત્યારે તે મહિલાએ કહ્યું કે, તમે સી અને ડી વાળા લોકો બદમાશ લોકો છો. તેઓ કમિટીનાં સભ્ય છે છતાં અમારી વચ્ચે કેમ બેઠાં? હું તેમની પાછળ બેઠો હતો. તેઓએ મને ગુસ્સામાં માથામાં મોબાઈલ અને માઈક માર્યું હતું. ઉપરાંત ધમકી પણ આપી હતી કે, બીજીવાર મારીશ. ગત વર્ષે પણ મિટિંગ કરવામાં નહોતી આવી અને અમને સોસાયટીના કોઈ હિસાબ આપવામાં નથી આવતા. અમારી બાજુ સાફ-સફાઈ પણ નથી કરવામાં આવતી. (દિનેશભાઈ ઠક્કર સાથે થયેલી વાતચીત અનુસાર)

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 6:39 am

શ્વાનનો આતંક:મકરપુરામાં કૂતરાનો આતંક, 30 લોકોને કરડ્યું, આધેડના ગુપ્તાંગ પર બચકું ભર્યું

મકરપુરાની સાંઈ દર્શન સોસાયટીમાં 1 મહિનાથી કૂતરાએ આતંક મચાવ્યો છે. મહિલા-બાળકો અને વૃદ્ધો સહિત કુલ 30 લોકોને કૂતરાએ બચકાં ભર્યાં છે. જ્યારે સોમવારે આધેડ સોસાયટીના ટ્યૂશન ક્લાસમાં પૌત્રને મૂકવા આવ્યા હતા. તે સમયે ચાલુ મોપેડે કૂતરાએ તેમના ગુપ્તાંગમાં કરડી લેતાં તેઓ ઘાયલ થયા હતા. મકરપુરાની સાંઈ દર્શન સોસાયટીમાં 1 મહિનાથી કૂતરાએ આતંક મચાવ્યો છે. 6 મહિના પહેલાં કૂતરું સોસાયટીમાં આવી ગયું હતું. જોકે સોસાયટીમાં કોઈ કૂતરું ન હોવાથી રહીશોએ તેને રહેવા દીધું હતું. ભૂતકાળમાં કૂતરું એક વ્યક્તિને કરડ્યું હતું, જેથી રહીશોએ તેનું રસીકરણ કર્યું હતું. જોકે 1 મહિનામાં કૂતરાએ બાળકો, મહિલા, વૃદ્ધો સહિત 30 લોકોને બચકાં ભર્યાં છે. જેથી રહીશો ઘરની બહાર નીકળતાં પણ ફફડી રહ્યા છે. દરમિયાન સોમવારે એક આધેડ મોપેડ પર પૌત્રને સોસાયટીમાં ટ્યૂશનમાં મૂકવા આવ્યા હતા. તેઓ પરત જતા હતા ત્યારે અચાનક આ કૂતરાએ ચાલુ મોપેડે આધેડના ગુપ્તાંગમાં કરડી ગયું હતું. ઘટના બનતાં સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા અને આધેડને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પાલિકામાં રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન કરાઈઅમે પાલિકા અને હેલ્પ લાઈનમાં રજૂઆત કરી છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર તેઓ રસીની જ વાત કરે છે. અમે અનેકવાર હેલ્પ લાઈનમાં મદદ માગી હતી, પણ કોઈ ઉકેલ લવાતો નથી. > પ્રણવ પ્રજાપતિ, સોસાયટીના રહીશ

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 6:38 am

જવાબદારીથી તંત્રએ હાથ ખંખેર્યા:દબાણ દૂર કરવાની જવાબદારી પાલિકાની,પણ ફરીથી ન થાય તેનું પોલીસે ધ્યાન રાખવું જોઈએ

ચાર દરવાજા વિસ્તારમાં દબાણો દૂર કરવાની જવાબદારી માત્ર પાલિકાની નથી, પરંતુ પોલીસની પણ છે, તેમ કહીને વોર્ડ 14ના વોર્ડ ઓફિસર મહેશ રબારીએ પોલીસ કમિશનરથી માંડીને વાડી પોલીસ મથકના પીઆઈને પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે લખેલા પત્ર અનુસાર, લહેરીપુરા પોલીસ ચોકીની આજુબાજુ દબાણો થતાં પાલિકા દ્વારા દબાણો દૂર કરાય છે, પણ લારીઓ પાછી લાગવાથી ખોટો મેસેજ જાય છે.વાડી પોલીસ મથકના પીઆઈની પણ જવાબદારી બને છે કે, લારીઓ પાછી ન લાગે. જોકે દબાણો દૂર કરવાની જવાબદારી અંગે પોલીસ દ્વારા કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દેવાયો હતો. વોર્ડ ઓફિસર મહેશ રબારી દ્વારા પોલીસ કમિશનર, પાણીગેટ પોલીસ અને વાડી પોલીસને સંબોધી ડિસેમ્બરમાં વિવિધ મુદ્દે પત્રો લખીને કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. જેમાં પાણીગેટ પોલીસ મથકના પીઆઈને સંબોધી કહ્યું કે, પાણીગેટ દરવાજા પર રસ્તા પર એક ભિખારી કેટલાય દિવસથી રાતે સૂઈ જાય છે અને સવારે પણ આખો દિવસ રસ્તા પર જ હોય છે. વોર્ડ કચેરી દ્વારા તેને વારંવાર હટાવાય છે, પણ તે પાછો આવી જાય છે. આ રોડ પર ભારદારી વાહનોની અવર-જવર હોય છે અને અકસ્માતનો ભય છે. જેથી ભીખારીને તાત્કાલિક હટાવવા જણાવ્યું હતું. લહેરીપુરા દરવાજા પાસે ફરીથી લારીઓ ન લાગી જાય તે માટે ટ્રાફિક પોલીસ કર્મી પણ કાર્યવાહી કરેવોર્ડ ઓફિસરે 18 ડિસેમ્બરે પોલીસ કમિશનર અને સયાજીગંજ ટ્રાફિક શાખાના એસીપીને પત્ર લખી જણાવ્યું કે, પદ્માવતી સેન્ટર અને લહેરીપુરા દરવાજાના રોડ પર પાલિકા દ્વારા વખતો-વખત દબાણો દૂર કરાય છે. આ સ્થળે ટ્રાફિકના કર્મચારીઓ પણ ઊભા રહે છે ત્યારે કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ્યા બાદ પણ પાછાં લાગી જાય છે. જેથી ટ્રાફિકના કર્મચારીઓ પણ દબાણો ફરીથી ન લાગે તે માટે કાર્યવાહી કરે તેવી રજૂઆત કરાઈ છે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 6:34 am

અંતે પાલિકાને બુદ્ધિ આવી:‘મોતના 4 કૂવા’ને કપડાના ટુકડાની આડશ હવે કોઈ નહીં પડે તેવી પાલિકાની ગેરંટી !

માંજલપુરમાં ગટરના ખુલ્લા મેઈન હોલમાં પડી જતાં યુવકનું મોતના પ્રકરણ બાદ ભાસ્કરે કરેલા ગ્રાઉન્ડ રિપોર્ટમાં ન્યૂ વીઆઇપી રોડ અને ખોડિયારનગરમાં ડ્રેનેજ લાઇનના ખાડા મોતના કૂવા સમાન જણાયા હતા. આ અંગે અહેવાલ છપાયા બાદ પાલિકાનું તંત્ર દોડતું થયું છે. ન્યૂ વીઆઇપી રોડ પર ખાડા નજીકના ડિવાઈડર પર ગ્રીન નેટ લગાવી હતી. જોકે મોતના કૂુવા સમાન 4 ખાડા પાસેના ડિવાઇડર પર કપડું લગાવાતાં તેનાથી હવે કોઈ ખાડામાં નહીં ખાબકે તેવી ગેરંટી પાલિકાએ આપી હોય તેવી સ્થિતિ છે. વારસિયા રિંગ રોડ પર પંચશીલ એપાર્ટમેન્ટથી ન્યૂ વીઆઇપી રોડ પર ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી છે. જેમાં ખાડાની આસપાસ બેરિકેડ મૂકાયાં ન હતાં. તદુપરાંત એક તરફના ચાલુ રસ્તાના ડિવાઈડર તૂટેલા હોવાથી અકસ્માત સમયે ચાલક વાહન સાથે ખાડામાં ખાબકે તેવી શક્યતા હતી. તંત્રની સૂચનાથી કોન્ટ્રાક્ટરે ડિવાઈડરની પાસે ગ્રીન નેટ લગાવી હતી. વ્હીકલ પુલ સામે મોટું ગાબડું,કોઈ પડે તો અડધો કિમી દૂર કાસમઆલા નીકળે, પાલિકાની ટીમ આજે કામગીરી કરશેમાંજલપુરની ઘટના બાદ પાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે અને આડેધડ ખોદેલા ખાડાની આસપાસ માત્ર ભયસૂચક પટ્ટી લગાવી અથવા તો પ્લાસ્ટિકના થાંભલા મૂકી કામગીરી કર્યાનો ડોળ કર્યો છે. તેવામાં ભૂતડીઝાંપા વ્હીકલ પુલ સામે જેસીબીનું ટાયર ફસાઈ જતાં ત્યાં એક ખાડો પડ્યો હત. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ખાડામાં જો કોઈ પડે તો તે સીધો અડધો કિલોમીટર દૂર કાસમઆલા કાંસમાં જ નીકળે. જેથી વહેલી તકે ખાડો પૂરવામાં આવે તેવી માગ ઊઠી છે. બીજી તરફ સ્થાનિક લોકો સાથે અધિકારીઓની થયેલી વાતચીત મુજબ મંગળવારે સવારે ટીમ સ્થળ મુલાકાત લઈ કામગીરી કરશે, તેમ જાણવા મળ્યું છે. ખોડિયારનગર રોડ પર ખાડાની આસપાસ બ્લિંકર્સ લગાવાયાશહેરના ખોડિયાર નગર રોડ પર પાલિકા દ્વારા ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં ઊંડા ખાડા ખોદવામાં આવ્યા છે. જે ખાડામાં ટુ વ્હીલર સાથે કાર પણ સમાઇ જાય તેટલા મોટા ખાડા ખોદાયા છે, જેમાં પાણી પણ ભરેલું છે. ત્યારે ભાસ્કરમાં છપાયેલા અહેવાલ બાદ ખાડાની આસપાસ બ્લિંકર્સ મૂકીને બેરિકેડ લગાવાયા છે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 6:31 am

વોન્ટેડ આરોપી ઝડપાયો:દારૂના ગુનામાં વોન્ટેડ ભિલોડાના ખિલોડાનો શખ્સ ઝડપાયો

ગાંભોઈ પોલીસે દારૂની હેરાફેરીના કેસમાં વોન્ટેડ ખિલોડાના શખ્સને ગાંભોઈ ત્રણ રસ્તાથી ઝડપીડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગાંભોઈ પી.આઈ. એસ જે. ગોસ્વામીએ જણાવ્યું કે ચાલુ વર્ષે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂની હેરાફેરીના ગુનામાં વોન્ટેડ રણજીત ઉર્ફે ગોલી અમૃતભાઈ જીવાભાઇ ગામેતી (26) (રહે. ખિલોડા તા. ભિલોડા) ગાંભોઈ ત્રણ રસ્તા ખાતે આવ્યો હોવાની બાતમી મળતાં પીએસઆઇ.પી.એચ ડોડીયાને જાણ કરી હતી તેમણે વોન્ટેડ રણજીત ગામેતીને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 6:24 am

મોડાસામાં કોંગ્રેસના 141મા સ્થાપના દિવસની ઊજવણી:કોંગ્રેસ દેશની સ્વતંત્રતા, સંવિધાનની રચનામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી છે

કોંગ્રેસ પક્ષના 141મા સ્થાપના દિવસ નિમિત્તે મોડાસામાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, ભાઈઓ-બહેનો તથા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .ધ્વજવંદન બાદ પોતાના સંક્ષિપ્ત સંબોધનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલ એ જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષે દેશની સ્વતંત્રતા, સંવિધાનની રચના અને લોકશાહીના સંરક્ષણમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી છે. આજે પણ કોંગ્રેસ સંવિધાન, લોકશાહી અને દેશની એકતા માટે અડગપણે સંઘર્ષ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 6:18 am

આરોગ્ય કેમ્પ યોજાયો:વક્તાપુરમાં આરોગ્ય કેમ્પનો 200 લોકોએ લાભ લીધો

હિંમતનગર તાલુકાના વક્તાપુરમાં રવિવારે કલ્પ હોસ્પિટલના ડૉ. આનંદ સુથારના સહયોગથી નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન વક્તાપુર દૂધ મંડળીમાં કરાયું હતું.આવ્યું હતું. જેમાં લકવો, બ્લડપ્રેસર, ડાયાબિટીસ, હ્દયરોગ, અસ્થમા જેવા રોગો માટે મફત નિદાન કરાયું હતું. જેમાં ગામના લોકો અને આજુબાજુના ગામના લોકો જોડાયા હતા. આશરે 200 થી વધારે લોકોએ આ નિદાન કેમ્પનો લાભ લીધો હતો. કાર્યક્રમ વક્તાપુરના સરપંચ યશપાલસિંહ ઝાલા અને વક્તાપુર દૂધ મંડળીના સૌજન્યથી કરાયો હતો. તમામ લોકો જોડાઈને પોતાની તકલીફોની તપાસ કરાવી હતી.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 6:17 am

લોક દરબારમાં કરાયેલી રજૂઆત સફળ થઈ:હિંમતનગરમાં સ્વામી વિવેકાનંદ સર્કલ પર પોલીસ પોઇન્ટ મૂકાયો

હિંમતનગર શહેરમાં વધતી જતી વાહનોની સંખ્યાના કારણે વિવિધ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઇ રહી છે. જેના લીધે ટ્રાફિક નિયમન માટે વિવિધ વિસ્તારમાં પોલીસ પોઇન્ટ મૂકાઇ રહ્યા છે. તાજેતરમાં મહેતાપુરા વિસ્તારના રહીશ દ્વારા સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે પોલીસ પોઇન્ટ મૂકવા લોક દરબારમાં રજૂઆત કરાઇ હતી. જે બાદ અહીં પોલીસ પોઇન્ટ મૂકાયો છે. મહેતાપુરામાં આવેલ સ્વામી વિવેકાનંદ સર્કલ થઇને ઇડર, વિજાપુર તરફ વાહનચાલકોની અવર જવર રહેતી હોય છે. તેમજ હિંમતનગર શહેરમાં પ્રવેશવા મુખ્ય માર્ગ હોવાના કારણે અહીં ભારે ટ્રાફિક રહેતો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. જેના કારણે તાજેતરમાં પોલીસ હેડ કવાર્ટસ ખાતે રેન્જ આઇજી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા એસ.પી. પાર્થરાજસિંહ ગોહિલની હાજરીમાં યોજાયેલ લોક દરબારમાં મહેતાપુરાના મહેશભાઇ શર્માએ આ સર્કલ ઉપર ટ્રાફિક નિયમન માટે પોલીસ પોઇન્ટ મૂકવા રજૂઆત કરી હતી. જેના ભાગરૂપે તાજેતરમાં પોલીસ વિભાગ દ્વારા અહીં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસ પોઇન્ટ મૂકાયો હતો.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 6:16 am

હથિયાર સાથે ઇસમની ધરપકડ:કડવઠ નજીકથી ત્રણ દેશી પિસ્તોલ, 18 જીવતાં કારતૂસ સાથે યુપીનો શખ્સ ઝબ્બે

શામળાજી પોલીસે 31 ડિસેમ્બરને લઈને રાજસ્થાન તરફથી આવી રહેલા વાહનોનું ચેકિંગ હાથ ધર્યું છે. રવિવારે સાંજે ત્યાંથી બાઇક નંબર યુપી 14 એફએચ 8071 લઈને શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા શખ્સને શામળાજીના કડવઠની સીમમાં પોલીસે રસ્તા વચ્ચે આડશ ઉભી કરી આશિષ હોટેલ સામેથી આરોપી બિરેન્દ્રકુમાર ચંદ્રપાલ ખટીક 55 રહે H.63 ફિરદોશ મસ્જિદ નજીક ગરીમા ગાર્ડન સાહીલાબાદ ગાઝિયાબાદ ઉત્તરપ્રદેશને ઝડપી બાઇકની સીટ નીચે દેશી હાથ બનાવટની 3 પિસ્તોલ અને 18 જીવતાં કારતૂસ મળતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સમગ્ર મામલામાં મહાવીર નામનો શખ્સ અને તેના સાળા સુનિલની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. મળી આવેલી પિસ્તોલ અને જીવતાં કારતૂસ અમદાવાદ લઈ જવાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ શામળાજી પોલીસે 3 પિસ્તોલ, 18 જીવતાં કારતૂસ, બાઇક સહિત રૂ. 1,40,400નો મુદ્દામાલ કબજે લઈ યુપીના આરોપીની અટકાયત કરી હતી. આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભાસ્કર ઇનસાઇડઆરોપી બિરેન્દ્ર ખટીક તેના પાડોશી મિત્ર અકીલ મોહમ્મદ અલીની બાઇક લઈ તેની સાસરી ઉદુપુરા ફરૂકાબાદ ગયો હતો. ત્યાં તેને મહાવીર નામનો વોન્ટેડ આરોપી મળ્યો હતો અને તેણે ઝડપાયેલા આરોપીને અમદાવાદ ખાતે પિસ્તોલ અને જીવતાં કારતૂસ લઈને મોટર સાથે આવવાના રૂ.20હજાર અને ખર્ચના રૂ.5હજારઆપવાનું કહ્યું હતું અને આ પિસ્તોલ અને કારતૂસ મહાવીરના મિત્ર અનુપે આપ્યા છે તેવી વાત કરી હતી. રતનપુર ચેકપોસ્ટ આવતાં બે ભાગી ગયા‎ઝડપાયેલો આરોપી અને મહાવીર બંને તા.27 ડિસેમ્બરની સવારે છ વાગે ઝડપાયેલા બાઇક સાથે નીકળ્યા હતા. સાથે સાથે મહાવીરનો સાળો સુનિલ પણ અન્ય બાઇક સાથે નીકળ્યો હતો. આરોપીઓ બાઇક પર આગરા, જયપુર, અજમેર, ભીમ, રાજસમંદ ઉદેપુર ખેરવાડા અને બોર્ડર આવતા મહાવીર નામનો શખ્સ બાઇક પરથી ઉતરી સુનિલની બાઇક પર બેસી ગયો હતો. આરોપીના મોબાઇલમાંથી બે બેંકના વીડિયો મળ્યા‎આરોપી વિરુદ્ધ અગાઉ અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ચેન સ્નેચિંગનો‎ગુનો નોંધાયો હતો. આરોપી પાસેથી મળેલ મોબાઈલમાંથી પોલીસને‎આઈડીએફસી ફર્સ્ટ બેન્ક તથા સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા બેંકના વીડિયો‎મળતાં પોલીસને શંકા જતાં તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં ઉપરોક્ત‎વીડિયો તેણે અગાઉ અમદાવાદ કોર્ટમાં મુદત ભરવા આવ્યો હોવાનું‎અને તેના ચાચા નો ફોન આવતાં તે ગુજરાતમાં હોવાનું જણાવી‎ઉપરોક્ત બેંકના વીડિયો બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું.‎

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 6:15 am

નાળાની હાલત બિસ્મારથી લોકોમાં ભયનો માહોલ:આસેડાથી ગઢના મુખ્ય માર્ગ પર જર્જરિત‎નાળું ગમે ત્યારે બેસી જાય તેવી સ્થિતિ‎

આસેડાથી ગઢ અને પાલનપુરને જોડતા મુખ્ય માર્ગ પર દાંતીવાડા કેનાલ ઉપર આવેલું નાળું અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી વિસ્તારના ખેડૂતો અને વાહન ચાલકોમાં ભય ફેલાયો છે. નાળાના પાયામાં ઊંડી તિરાડો પડી ગઈ છે અને અંદરના સળિયા સ્પષ્ટ દેખાઈ રહ્યા હોવાથી ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. છતાં તંત્ર દ્વારા કાયમી સમારકામ બદલે માત્ર ભારે વાહનો માટે પ્રતિબંધની સૂચના લગાવી દેવામાં આવતા ગ્રામજનોમાં રોષ છે. આસેડા, સાવિયાણા સહિત આજુબાજુના ગામોને જોડતો આ માર્ગ ખેડૂતો માટે જીવનરેખા સમાન છે. રોજબરોજ ખાતર, બિયારણ, ખેતી સાધનો તથા પાકના વાહનો અહીંથી પસાર થાય છે. સ્થાનિક ખેડૂત રેવાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, નાળું બંને બાજુથી તૂટતું જાય છે. અંદરનું લોખંડ બહાર આવી ગયું છે. ટ્રેક્ટર કે લોડેડ વાહન જાય ત્યારે ડર અનુભવાય છે.તંત્રે ચેતવણી બોર્ડ લગાવ્યું હોવા છતાં વૈકલ્પિક માર્ગ કે અસ્થાયી બ્રિજની વ્યવસ્થા કરવામાં આવી નથી. પરિણામે મજબૂરીમાં હળવા અને ભારે તમામ વાહનો આ જોખમી નાળા પરથી પસાર થાય છે. ગ્રામજનોએ તાત્કાલિક કાયમી મરામત અથવા નવું નાળું બનાવવા માંગ ઉઠાવી છે અને ચેતવણી આપી છે કે જો દુર્ઘટના થશે તો તેની જવાબદારી તંત્રની રહેશે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 6:10 am

તસ્કરોનો તરખાટ:ધરણીધરના ચોથારનેસડા ગામે સેણલ માતાજીના સ્થાનકે ચોરી

ધરણીધરના ચોથારનેસડા ગામે સેણલ માતાજીના સ્થાનકે ચોરી થતાં લોકોમાં રોષ ફેલાયો છે. ધરણીધર તાલુકાના ચોથારનેસડા ગામે બસ સ્ટેશન કસ્ટમ રોડની સાઈડમાં ઝાડ નીચે સેણલ માતાજી સ્થાનક આવેલ છે ત્યાં કોઈક ઈસમે પેટીમાંથી ચાંદીના દાગીના તેમજ અંદાજે એક હજાર રોકડની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. ચોથારનેસડા ગામે બસ સ્ટેશન કસ્ટમ રોડ સાઈડમાં ઝાડ નીચે સેણલ માતાજીના સ્થાનકે કોઈ શખ્સે પેટીમાંથી માતાજીના ચાંદીના દાગીના અને અંદાજે એક હજાર રોકડની ચોરી થઈ હોવાનું ઠાકરશીભાઈ ઠાકોરે જણાવ્યું હતું.આ લખાય ત્યાં સુધી કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 6:09 am

ભાસ્કર વિશેષ:ખરડોસણના ખેડૂતે પ્રાકૃતિક ખેતીથી વર્ષે 4 લાખની આવક મેળવી‎

ડીસા તાલુકાના ખરડોસણ ગામના ખેડૂત સાગરભાઈ રબારીએ ખેતીમાં વધતા ખર્ચ, રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓના વધતા ઉપયોગથી પરેશાન થઇ પરંપરાગત ખેતીથી અલગ રસ્તો પસંદ કરી પ્રાકૃતિક ખેતી અપનાવી અને આજે તે અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. આજે તેઓ રાસાયણિક ખાતર કે ઝેરી દવાઓનો ઉપયોગ કર્યા વગર શાકભાજીનું વાવેતર કરી વર્ષે 3થી 4 લાખની આવક મેળવી રહ્યા છે. ડીસા તાલુકાના ખરડોસણ ગામના સાગરભાઈને પ્રાકૃતિક ખેતી પ્રત્યે રસ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલા તાલીમ અને માર્ગદર્શન કાર્યક્રમો દરમિયાન જાગ્યો હતો. ખેતીમાં સતત વધતા ખર્ચ અને ઘટતી આવકને ધ્યાનમાં રાખીને તેમણે શરૂઆતમાં પોતાની થોડી જમીનમાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કર્યો હતો. આ જમીનને તેઓ ડેમો તરીકે ઉપયોગમાં લેતા હતા.આ પ્રયોગ દરમિયાન કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર કે ઝેરી દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. પરિણામે જમીનની ઉપજક્ષમતા વધતી જોવા મળી અને પાકની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો થયો. આ સકારાત્મક પરિણામોથી પ્રોત્સાહિત થઈ સાગરભાઈએ સંપૂર્ણ જમીનમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.હાલમાં તેઓ ડુંગળી, લીલું લસણ, કોથમીર, રીંગણ, કોબીજ, ફુલાવર, સરસિયા, પાલક, મૂળા સહિત વિવિધ પ્રકારના શાકભાજીનું વાવેતર કરે છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ખર્ચ ઓછો થાય છે અને બજારમાં શુદ્ધ, ઝેરી દવાઓ વિનાના શાકભાજીની માંગ વધતા તેમને યોગ્ય ભાવ મળે છે. આ કારણે તેઓ વર્ષે અંદાજે ત્રણથી ચાર લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે. સાગરભાઈ રબારીના ઉત્તમ કાર્ય બદલ તેમને દિલ્હીમાં કૃષિ જાગરણ સંસ્થા દ્વારા સન્માનિત કરી એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આજે તેમની ખેતી જોઈને વિસ્તારના અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. સાગરભાઈની આ સફળતા સાબિત કરે છે કે યોગ્ય માર્ગદર્શન, મહેનત અને દ્રઢ સંકલ્પ સાથે પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે નફાકારક અને ટકાઉ વિકલ્પ બની શકે છે. ખરડોસણ ગામના ખેડૂત રાસાયણિક ખાતર કે ઝેરી દવાઓનો ઉપયોગ કર્યા વગર શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 6:07 am

નવા વર્ષમાં બેસ્ટ ઓપ્શન રહેશે ગુજરાતના આ 15 ટુરિઝમ સ્પોટ:પવિત્ર તીર્થધામોથી લઈ 'ગોવા'ને જાખું પાડે તેવા એમેઝિન પ્લેસ; ટિકિટ-નાઈટ સ્ટે-પાર્કિંગ સહિતની ડિટેલ્ડ બસ એક ક્લિકમાં

મોટાભાગના લોકો વિચારતા હોય છે કે, નવ વર્ષની શરૂઆત પવિત્ર તીર્થધામોએ જઈ ભગવાનના આશીર્વાદથી કરીએ. જેથી આખું વર્ષ શુભ રહે. ગુજરાત પણ પોતાની આસ્થા અને ધાર્મિકતા માટે પણ પ્રખ્યાત છે. રાજ્યમાં અંબાજી, પાવાગઢ, દ્વારકા, સોમનાથ સહિતના વિશ્વપ્રસિદ્ધ અનેક મંદિર આવેલા છે. દરરોજ વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો આ મંદિરોની મુલાકાતે આવે છે. લોકો પોતાના પરિવાર સાથે પહેલા મંદિરે દર્શન કરી પછી પ્રવાસન સ્થળો પર નવ વર્ષથી ઉજવણી કરવાનું પસંદ કરે છે. તો આજે એવા જ કેટલાક ધાર્મિક અને પ્રવાસન સ્થળો વિશે જાણીશું, જ્યાં તમે તમારા પરિવાર કે મિત્રો સાથે નવા વર્ષની ઉજવણી કરી શકો છો. નીચે આપેલા ગ્રાફિક્સમાં તમને, ગુજરાતના પ્રખ્યાત મંદિરો, ત્યાંની વિશેષતા, રાત્રિ-રોકાણની સુવિધા, પાર્કિંગ અને કેવી રીતે જઈ શકશો? એ તમામ વિગતો આપવામાં આવી છે..જેનાથી જો તમે કોઈ ટૂર પ્લાન કરી રહ્યા છો તો તમને સરળતા રહે.. સૌથી પહેલા જાણીએ ગુજરાતના સૌથી પ્રખ્યાત તીર્થ ધામો વિશે હવે જાણીએ ગુજરાતના ટોપ ફેવરિટ ટુરિઝમ પ્લેસ વિશે...

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 6:05 am

ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો:પાલનપુર કોલેજમાં ગ્રાહક જાગૃતિ સેમિનાર

આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી. પટેલ આર્ટ્સ અને એસ.એ. પટેલ કોમર્સ કોલેજ ખાતે કન્ઝ્યુમર ક્લબ અંતર્ગત 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે ગ્રાહક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં આસિ. પ્રોફેસર મુકેશ અગ્રવાલે ગ્રાહકોના અધિકારો, છેતરપિંડીથી બચવાના ઉપાયો, વળતર મેળવવાની પ્રક્રિયા તેમજ જિલ્લા ગ્રાહક ફોરમની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી. કાર્યક્રમ કોલેજના આચાર્ય ડો. મનીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કન્ઝ્યુમર ક્લબના કન્વીનર ડો. મનીષભાઈ ગૌસ્વામી દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. સ્ટાફના સહયોગથી સેમિનાર સફળ રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 6:01 am

રશિયન ને દુબઈની બેલી ડાન્સર ગુજ્જુઓ જોડે ઠુમકા લગાવશે:જંગલ થીમમાં મદહોશી, મસ્તી ને મોજ, રાજકોટમાં સૌથી મોટી સાઉન્ડ સિસ્ટમ; થર્ટી ફર્સ્ટની 10 હટકે પાર્ટી

ગુજરાત ભલે ડ્રાય સ્ટેટ રહ્યું પણ ન્યૂ યર પાર્ટીનો જલસો કરવામાં તો આપણા ગુજરાતીઓ પાછા પડે જ નહીં. સૌ કોઈ વર્ષ 2026ને આવકારવા તૈયાર છે. ખાસ કરીને અમદાવાદમાં તો થર્ટી ફર્સ્ટની પાર્ટીનો માહોલ જ કઇંક જુદો હોય છે. આ વખતે શહેરમાં 4 જગ્યાએ એકદમ નવી અને ટ્રેન્ડ સેટર કહી શકાય એવી થીમ સાથે પાર્ટી થવાની છે. જેમાં ગિફ્ટ સિટીમાં યોજાનારી પિરામિડથી લઈ સાયન્સ સિટીના 'વાઈબવર્સ ફાર્મમાં હોરર અને મુમતપુરાના અમોર કાફેમાં હોલિવૂડના ઓસ્કર એવોર્ડ્સની થીમ રાખવામાં આવી છે. સાથે જ પામ ગ્રીન્સ ક્લબમાં રશિયન અને દુબઈની બેલી ડાન્સર ગુજ્જુઓ જોડે ઠુમકા લગાવશે. તો સુરતના સરસાણા ડોમમાં જંગલ થીમમાં મદહોશી, મસ્તી ને મોજ પાર્ટી એનિમલ્સને દિવાના બનાવશે તો રાજકોટમાં સૌથી મોટી સાઉન્ડ સિસ્ટમ રાજકોટીયન્સને પાગલ કરશે. તો આવો જાણીએ થર્ટી ફર્સ્ટની 10 હટકે થીમ-પાર્ટી વિશે... ગિફ્ટ સિટીમાં ગુજરાતની સૌથી મોટી ઇજિપ્શિયન થીમગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાનારી પિરામિડ થીમની પાર્ટીને લઈ ઈશાન, ‘ધ ટીઆઈડી લાઈવ’ના ઓનરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે ‘સેવન ડાયનેસ્ટી’ નામની એક થીમ છે. જેને અમે ગિફ્ટ સિટીમાં રિપ્રેઝન્ટ કરી રહ્યા છીએ. અમારો મોટિવ એ છે કે જે ગીઝામા એક થીમ થાય છે. ઇજિપ્શિયન થીમ ઉપર, એ પૂરી થીમને રિક્રીએટ કરી આપીએ છીએ. આખા ગુજરાતમાં આ પહેલીવાર થઈ રહ્યું છે કે મોટા પિરામિડ્સ બને છે જે ગીઝામાં બનતા હોય છે. એ પિરામિડ્સ પ્લસ એની જે ટેકનો વાઈબ્સ હોય, એવી આખી ઇજિપ્શિયન થીમ અમે રિક્રીએટ કરી રહ્યા છીએ. તો આ ગુજરાતની સૌથી મોટી ઇજિપ્શિયન થીમ છે. મોટું ફ્લાઈંગ ઈગલ અને એના ગેટમાંથી એન્ટ્રીઅમારું આ વેન્યુ ઓલરેડી પિરામિડ્સ અને ઇજિપ્શિયન સ્ટ્રક્ચર પર બનેલું છે. એટલે અમે એમાં હજુ એલિમેન્ટ્સ એડ-ઓન કરીશું. અમે એક એવો ગેટવે ક્રિએટ કરીએ છીએ કે જેમાં એક મોટું ફ્લાઈંગ ઈગલ હોય અને એના ગેટમાંથી તમે એન્ટર થાવ. આખું એક પિરામિડ સ્ટ્રક્ચર હશે, અમારો સ્ટેજ પણ જાયન્ટ સ્ટ્રક્ચર પર બનેલો છે. અમારા ફોટો બૂથ પણ ગજબ હશે જે તમને ઇજિપ્શિયન હાઈ-ક્લાસ પ્રીમિયમ પાર્ટીની ફીલ આપશે. આવો એક્સપિરિયન્સ તમને બીજે ક્યાંય નહીં મળ્યો હોયતો અત્યારે અમે આ થીમ અમદાવાદમાં રિક્રીએટ કરી રહ્યા છીએ. તમે એકવાર અહીં આવો અને આ જગ્યા જુઓ, તમને બહુ જ મજા આવશે. આ એક અદભૂત જગ્યા હશે અને કદાચ આવો એક્સપિરિયન્સ તમને બીજે ક્યાંય નહીં મળ્યો હોય. 31મી એ લોકો અલગ-અલગ જગ્યાએ જતા હોય છે પણ એક જ સ્પોટ પર અમે થીમ, આર્ટિસ્ટ, ફૂડ અને ડ્રિંક્સ સાથે એવા સાઉન્ડ સેગમેન્ટ્સ લાવી રહ્યા છીએ જે અમદાવાદમાં અત્યાર સુધી નથી થયા. અમે બોલિવૂડ, ટેકનો, એફ્રો (Afro)- આ બધા જ સેગમેન્ટ્સના અલગ-અલગ આર્ટિસ્ટને એક જ સ્પોટ પર લાવી રહ્યા છીએ. પ્લસ, અમે તમને ફૂડ અને અનલિમિટેડ મોકટેલ્સ પણ પ્રોવાઈડ કરીશું. 'ફીલ અને ટચ કરી શકો એવી થીમ ક્રિએટ કરી'સાયન્સ સિટી વિસ્તારના વાઇબવ વર્સ ફાર્મમાં હોરર થીમ પર ન્યૂ યર પાર્ટી યોજાશે. આ અંગે બાલાજી ઈવેન્ટ્સના માલિક હર્ષ ભારતીયએ જણાવ્યું હતું કે, આ વખતે ન્યૂ યર પાર્ટીમાં આપણે 31મીની સાંજે 7 વાગ્યાથી ઈવેન્ટ સ્ટાર્ટ થશે. અમે હોરર થીમ પર પાર્ટી યોજવાના છીએ. જેને તમે ફીલ અને ટચ કરી શકો એવી થીમ અમે ક્રિએટ કરી રહ્યા છીએ. ફૂડ, સિક્યુરિટી, પાર્કિંગની વ્યવસ્થાપ્રાઈસની વાત કરીએ તો સિંગલ એન્ટ્રી 499ની છે, કપલ એન્ટ્રી અલગ છે, VIP પાસ પણ રાખવામાં આવ્યા છે. VIP પાસમાં ઇન્ફ્લુએન્સર્સ મીટ એન્ડ ગ્રીટ પણ રહેશે આગળ, તો VIP એન્ટ્રીવાળાને આગળના પોર્શન મળશે. ફૂડ અલગથી ખરીદવું પડશે. સારા FSSAI લાયસન્સ જેની પાસે છે એ લોકોનું ફૂડ તમને અંદર મળશે. ફૂડના 10 સ્ટોલ અંદર છે. સિક્યુરિટીનો પ્રોપર અરેન્જમેન્ટ છે. બહાર પાર્કિંગ માટે સિક્યુરિટી અલગ છે, અંદર સિક્યુરિટી રહેશે, એનું પ્રોપર અરેન્જમેન્ટ છે. પાર્ટીમાં 2થી 3 હજાર લોકો આવી શકે છે. એની સાથે પાર્કિંગની વ્યવસ્થાની વાત કરીએ તો બહાર 500 જેટલા વ્હીકલ પાર્ક થઈ શકે છે. 'આ ન્યૂ યર ધમાકેદાર અને અદભુત રહેશે'હોરર થીમને લઈ જાણીતી મોડલ અને યોગા ઇન્સ્ટ્રક્ટર દીપિકા પાટીલે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે આ વર્ષની પાર્ટી 'હોરર થીમ' પર આધારિત હશે. આ વખતનું ન્યૂ યર ધમાકેદાર અને અદભૂત રહેવાનું છે. આખું અમદાવાદ આ જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. અમે આ વખતે 'હોરર થીમ' રાખી છે, જેમાં લોકો અલગ-અલગ ડરામણા ગેટઅપ અને મૂડમાં આવશે. આમાં થ્રિલરની સાથે મસ્તી, ફન અને મ્યુઝિકનો ભરપૂર ડોઝ જોવા મળશે.પાર્ટીમાં આવતા લોકોની સુવિધા માટે ફૂડ અને સિક્યુરિટીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. લાઇટ ફૂડ રાખ્યું જેથી મોડે સુધી લોકો ડાન્સ કરી શકેદીપિકા પાટીલે વધુમાં ઉમેર્યું હતું કે, ફૂડની વાત કરીએ તો અમે ખાસ કરીને લાઈટ ફૂડ રાખ્યું છે જેથી લોકોમાં એનર્જી રહે અને તેઓ મોડે સુધી ડાન્સ કરી શકે. પાર્કિંગ માટે પણ અમે ખાસ વ્યવસ્થા કરી છે, જેમાં પ્રાઈવેટ પાર્કિંગની પણ સુવિધા ઉપલબ્ધ છે. સુરક્ષા અને વ્યવસ્થાની જવાબદારી 'વાઈબ વર્સ' (Vibe Verse) ટીમ દ્વારા ખૂબ જ સારી રીતે સંભાળવામાં આવી રહી છે. ‘લેટ્સ ફીલ લાઈક અ સેલિબ્રિટી ઓન ધ રેડ કાર્પેટ’મુમતપુરામાં આવેલા અમોર કાફેમાં હોલિવૂડના ઓસ્કર એવોર્ડની થીમ રાખવામાં આવી છે. આ અંગે એલિબલ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીની માલિક પૂજા મિશ્રાએ જણાવ્યું કે, જેમ બધા પોતે બીજા સેલિબ્રિટીને જોવા જાય છે, તો લેટ્સ ફીલ લાઈક અ સેલિબ્રિટી ઓન ધ રેડ કાર્પેટ. તો ઓસ્કર એવોર્ડની થીમ રાખી છે. એ યુનિકનેસ હું અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ લઈને આવી રહી છું. આમાં 2500માં સ્ટેગ એન્ટ્રી છે. જેમાં અંદર અનલિમિટેડ મોકટેલ્સ, ફૂડ, ડીજે પાર્ટી, લાઈવ બેન્ડ્સ, ડાન્સ પર્ફોર્મન્સ- આ બધું જ ફન સાથે અનલિમિટેડ છે અને કપલ એન્ટ્રી 4,000 રૂપિયાની છે. ‘ફેમિલી એમના બાળકો અને પેરેન્ટ્સ સાથે એન્જોય કરી શકશે’અમને પ્રીમિયમ ક્રાઉડ જોઈએ છે. જ્યાં ફેમિલી એમના બાળકો અને પેરેન્ટ્સ સાથે એન્જોય કરી શકે. આવું વાતાવરણ બીજે ક્યાંય નથી મળતું, કારણ કે ત્યાં ખૂબ જ ભીડ હોય છે અને ફેમિલી ત્યાં જવાનું પસંદ નથી કરતી. તો મારી પહેલી પસંદગી ફેમિલી છે, જેથી તેઓ તેમના પ્રિયજનો સાથે પ્રાઈવસીમાં પોતાની ન્યૂ યર પાર્ટી સેલિબ્રેટ કરી શકે. સ્ટાર્ટિંગ તમારા મોકટેલ્સ (Mocktails) છે, પછી સ્ટાર્ટર્સ (Starters) છે, પછી મેઈન કોર્સ (Main Course) વિથ ડેઝર્ટ (Dessert) છે. બધું અનલિમિટેડ જ છે. કપલ માટે, તેઓ તેમની પ્રાઈવેટ સ્પેસ એન્જોય કરી શકે છે. અમારી પાસે ગઝેબોઝ(Gazebos) છે, પ્રાઈવેટ સ્પેસ છે, પ્રાઈવેટ ટેબલ્સ છે. અને જો તેઓ VIP પાસ કે VVIP પાસ લે છે, તો ટેબલ પર જ બધી સુવિધા છે. સાથે સિક્યોરિટી અને બાઉન્સર્સ પણ છે. વેલે પાર્કિંગ (Valet Parking) ની પણ સુવિધા છે. અમે પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને બધું જ ઓર્ગેનાઈઝ કર્યું છે. ‘આ વર્ષે ન્યૂ યર પાર્ટીની થીમ નિયોન કલર’વિનવિક્સ કેફે જે વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફ જતા રોડ પર છે તેમાં યોજાનાર ન્યૂ યર પાર્ટી ઇવેન્ટના ઓનર વિનીત રાઠોડે જણાવ્યું હતું કે, આ વર્ષે ન્યૂ યર પાર્ટીની થીમ નિયોન કલર થીમ રહેશે. લોકોએ નિયોન કલરના ડ્રેસ કોડમાં આવવાનું રહેશે. નિયોન કલર એટલે કે જેમાં કપડા ચળકતા દેખાય. રંગીન લાઈટિંગ ગોઠવવામાં આવશે. જેથી ત્યાં આવનાર લોકો વધુ આકર્ષક દેખાશે. સાયકેડેલિક નિયોન એટલે કે બહુ જ લાઇટિંગ હશે અને બોલીવૂડ તેમજ EDM એટલે કે ઇલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક હશે. 499થી 4599 સુધીના પાસનીયોમ થીમમાં પાર્ટીના પાસની કિંમતની વાત કરીએ તો સિંગલ એન્ટ્રીના 499 તો કપલના 899 છે. સાથે જ રૂફ ટોપ કપલના 1250, સિંગલ VVIPના 1299, કપલ VVIPના 1799 તો જનરલ ગ્રુપ ઓફ 5ના 2199 અને જનરલ ગ્રુપ ઓફ 10ના 4599 રૂપિયા ખર્ચવા પડશે. ‘સુરતની સૌથી પ્રીમિયમ જગ્યામાં જંગલ થીમથી પાર્ટી’સુરતમાં અંતઃ આરંભ ઇવેન્ટના ઓનર પંકજ વસાવાએ જણાવ્યું હતું કે, સુરતમાં ખૂબ પ્રીમિયમ જગ્યા અને લગભગ સૌથી મોટી ઇવેન્ટ અમે કરી રહ્યા છીએ. જે સુરતના સરસાણા ડોમમાં થવાની છે. જંગલની થીમ રહેશે. જેમાં 2000 સ્કે.ફીટની LED સ્ક્રીન મૂકવામાં આવશે અને જંગલની જેમ વૃક્ષો વગેરે સજાવટ કરવામાં આવશે. એન્ટ્રીમાં પણ જંગલમાં એન્ટર થતા હોઈએ તે પ્રમાણે સ્ટ્રકચર ઊભું કરવામાં આવશે. 999થી 1999 રૂપિયા સુધીના પાસજંગલ થીમના પાસની કિંમતની વાત કરીએ તો ડાકુ ઝોનમાં રૂ. 999 જે સ્ટેજથી દૂર હશે તો મોરની ઝોનમાં 1499 જે સ્ટેજથી થોડું નજીક હશે. તો સ્ટેજની સૌથી નજીક રહેવા માટે 1999 રૂપિયા ખર્ચવા પડશે. એપલ ફાર્મ પાર્ટી પ્લોટમાં ગોલ્ડન થીમતો સુરતના એપલ ફાર્મ પાર્ટી પ્લોટમાં સનબર્ન ઇવેન્ટ આયોજિત પાર્ટી કે જ્યાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ગોલી એટલે કે કુશ શાહ હાજરી આપશે. અહીંયા ગોલ્ડન થીમ રાખવામાં આવી છે. જ્યાં પાસની કિંમત રૂ. 499થી 6,999 રાખવામાં આવી છે. રશિયન કલાકાર અને દુબઇથી બેલી ડાન્સર મનોરંજન કરાવશેપામ ગ્રીન્સ ક્લબમાં ટુમોરોલેન્ડ પાર્ટી થશે. જ્યાં રશિયન કલાકાર અને દુબઇથી બેલી ડાન્સર લોકોને મનોરંજન કરાવવા માટે આવશે. બે ટાઇપના પાસ મળશે. જેમાં ₹499થી ₹1599 સુધી અને ₹14,999 થી ₹19,999ના VIP ફૂડ પેકેજનો સમાવેશ થાય છે. ફક્ત કપલની જ પાર્ટી, ડ્રેસ કોડ રેડ એન્ડ બ્લેકસુરતમાં કપલ્સ કાઉન્ટ ડાઉન પાર્ટી જે નિયોન ધી ડિસ્ક ક્લબમાં થવાની છે. જેમાં ફક્ત કપલની જ પાર્ટી છે અને ડ્રેસ કોડ રેડ એન્ડ બ્લેક થીમ રાખી છે. જેમાં પાસની કિંમત રૂ. 349થી 999 સુધી હશે. ગુજરાતની સૌથી મોટી સાઉન્ડ સિસ્ટમ લાગશેરાજકોટમાં ગાર્ડી વિદ્યાપીઠ સામે આર્યા ક્લબમાં એબિઝા ફેસ્ટ પાર્ટી યોજાશે જ્યાં રાજકોટમાં પહેલીવાર ઇન્ટરનેશનલ DJ ફોરેનથી આવવાના છે અને ગુજરાતની સૌથી મોટી સાઉન્ડ સિસ્ટમ એટલે કે 1 લાખ 40 વોટની સાઉન્ડ સિસ્ટમ પણ લાગવાની છે. અને 50થી વધુ ફોટોબૂથ પણ અરેન્જ કરવામાં આવ્યા છે. જ્યાં પાસની કિંમત રૂ. 499થી 1,15,191 સુધીની છે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 6:00 am

વેરાવળ જતા યુવકની લાશ ઊંધી દિશામાંથી મળી:હૃદયમાં હાથા સુધી છરો ઘૂસાડ્યો, લૂંટ-પ્રેમ-દેવાની શંકામાં તપાસ, ડાયરા કલાકારનું નામ પૂછતાં જ ગુનો ઉકેલાઈ ગયો

ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં આજે વાંચો એક એવા કેસ વિશે, જેમાં યુવકે પોતે કબૂલી લીધું કે મેં મર્ડર કર્યું છે, તમામ પુરાવા એ વાતનું સમર્થન કરતા હતા, સાક્ષીઓ પણ મજબૂત હતા. તેમ છતાં કોર્ટમાંથી આરોપી નિર્દોષ છૂટી ગયો. એટલું જ નહીં, આ કેસમાં હત્યારો જ ભલભલાને નિર્દોષ લાગે એવો ઘટનાક્રમ બન્યો હતો. વાત છે રાજકોટ શહેરની. 17 ઓગસ્ટ, 2010સવારના પાંચ વાગ્યાનો સમયરાજકોટના મોરબી રોડ પર હજુ પણ સન્નાટો હતો. લોકોની જવલ્લે જ અવરજવર હતી. હવામાં હજુ રાતની ઠંડક પ્રસરેલી હતી પણ શહેરની સીમમાં પડેલી સફેદ કારની અંદર જે દૃશ્ય હતું એ ગમે તેવા પથ્થર દિલના માણસનું લોહી થીજવી દે એવું હતું. પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસ વાનને રસ્તાની સાઇડમાં એક કાર શંકાસ્પદ હાલતમાં ઊભેલી દેખાઈ. હેડ કોન્સ્ટેબલે PCR વાન ઉભી રાખી અને આછા અજવાળાના કારણે ટોર્ચનો પ્રકાશ કારના કાચ પર ફેંક્યો. ક્ષણભર માટે તો એમની આંખો પહોંળી થઈ ગઈ. કારમાં એક યુવાનની લોહી નીતરતી લાશ પડી હતી. કોન્ટેબલ ઉતાવળા પગલે PCR સુધી પહોંચ્યા અને વાયરલેસ પર મેસેજ વહેતો કર્યો, મોરબી રોડ પર એક લાશ મળી છે. લાશ કારની અંદર છે. થોડી જ વારમાં સાયરનો ગૂંજી ઊઠી. સવાર-સવારમાં DCP સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચવા લાગ્યો. કોઈ રીઢા ગુનેગારે અંજામ આપ્યો હોય એમ ક્રાઈમ સીન લાગતો હતો. યુવાનના હાથ-પગ દોરડાથી ક્રૂરતાપૂર્વક બાંધેલા હતા. મૃતકના સફેદ શર્ટ પર લોહીના લાલ ધબ્બા અને લોહીથી ખરડાયેલી કારની સીટ… નિર્મમ હત્યાકાંડની સાક્ષી પૂરી રહી હતી. સૌથી ભયાનક દ્રશ્ય તો એ હતું કે છરી મૃતક યુવાનની છાતીમાં ઉતારી દેવામાં આવી હતી, જેના હાથા સુધીનો ભાગ હજુ પણ છાતીમાં ખૂંપેલો હતો. લૂંટનો કેસ લાગે છે સાહેબ? એક પોલીસકર્મીએ સિનિયર અધિકારીને પૂછ્યું. કદાચ...એવું બની શકે. પણ એક વાત મનમાં ખટકે છે. મોબાઈલ ગુમ છે, પાકીટ ખાલી છે પણ આટલી ક્રૂરતા? આટલા બધા ઘા? આ માત્ર લૂંટ નથી, મર્ડર પાછળ નફરત હોય એમ પણ લાગે છે. ઉચ્ચ પોલીસ અધિકારીએ લાશનું નિરીક્ષણ કરતા જવાબ આપ્યો. લાશ કારની અંદરથી મળી હતી. એટલે પોલીસને કારના માલિકને શોધતા વાર ન લાગી અને એની સાથે લાશની ઓળખ પણ થઇ ગઇ. મૃતકનું નામ હતું હિતેષ પટેલ. રાજકોટના કોઠારિયા રોડ વિસ્તારમાં રહેતો અને પાન-મસાલાનો હોલસેલ વેપાર કરતો એક સામાન્ય મધ્યમવર્ગીય વેપારી. પરિવારમાં એના સિવાય બે લોકો હતા. પિતા અને પત્ની. જ્યારે હિતેષના પિતા મગનભાઇ અને પત્ની ખુશાલીને બોલાવવામાં આવ્યા ત્યારે આખું વાતાવરણ ગંભીર બની ગયું. મારો હિતેષ... મારો દીકરો… કોઈનું ખરાબ ન કરી શકે. સાહેબ, એની કોઈ સાથે દુશ્મની નહોતી. મગનભાઇની આંખોમાંથી આંસુ નહોતા સુકાતા. પત્ની ખુશાલીની તો હાલત ખરાબ થઈ ગઈ હતી. આગલી રાત્રે ઘરના ત્રણ સભ્યો એક સાથે બેસીને જમ્યા હતા. પછી લાશ મળી. માન્યામાં ન આવે એવી હકીકતથી પરિવાર ભાંગી પડ્યો હતો. એક તરફ પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી હોસ્પિટલમાં રહી હતી. બીજી તરફ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે તપાસ કરી હતી. જ્યારે અન્ય પોલીસકર્મીઓ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કેસ વિશે ચર્ચા કરી રહ્યા હતા. કોણ હોઈ શકે? કોઈ વેપારી હરીફ? કોઈ પ્રેમી? કે પછી કોઈ રૂપિયાની લેતીદેતીનો મામલો છે?, પોલીસ ઇન્સ્પેક્ટરે સાથી પોલીસકર્મીઓને સવાલ કર્યો. ટૂંકી મિટિંગમાં નક્કી થયું કે આ ત્રણેય દિશામાં તપાસ કરવી જોઈએ. જેમાં સૌથી પહેલોક્રમ હતો પરિવારના લોકોની પૂછપરછ કરવી. મૃતદેહ મળ્યાના થોડા જ કલાકોમાં મગનભાઈનું નિવેદન નોંધવા માટે પોલીસકર્મીઓ પહોંચ્યા. તેમનું આક્રંદ પથ્થરને પણ પીગળાવી નાખે એવું હતું. મગનભાઈએ ડૂસકાં ભરતા કહ્યું, સાહેબ એ રાતે બધું સામાન્ય હતું. હિતેષ અમારી સાથે બેસીને જમ્યો. એને કોઈ ટેન્શન હોય એમ લાગતું ન હતું. જમીને એણે કીધું કે શાપર-વેરાવળમાં એના માસા પાસેથી માલની ખરીદી કરવા જવું છે. કાર લઈને નીકળ્યો ત્યારે અમે તો વિચાર્યું પણ નહોતું કે આ એની છેલ્લી વિદાય હશે. પરંતુ, એ રાતનો સૌથી મોટો વળાંક એક ફોન કોલ હતો. મગનભાઈએ વાતને આગળ વધારતા કહ્યું, ઘરેથી નીકળ્યાની થોડીવાર પછી હિતેષનો ફોન આવ્યો, એણે કહ્યું કે ગોંડલ રોડ પર ક્રિષ્ના પાર્ક પાસે એક અજાણ્યા યુવકે લિફ્ટ માગી હતી એટલે મેં તેને કારમાં બેસાડ્યો છે. બસ, એ છેલ્લી વાત. એ પછી એનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો. પોલીસને લાગ્યું કે આ અપહરણ અને લૂંટનો કેસ હોઈ શકે છે. 16-17 ઓગસ્ટની રાત્રે હિતેષના પિતા અને પત્ની જાગતા રહ્યા, શાપર ફોન કર્યા, સગા-સંબંધીઓને ત્યાં દોડધામ કરી પણ હિતેષ ક્યાંય નહોતો. સવારે તેની લાશ સાવ વિરુદ્ધ દિશામાં એટલે કે મોરબી રોડ પરથી મળી. તપાસ અધિકારીઓ મૂંઝવણમાં હતા. જો હિતેષને શાપર જવું હોય તો તે ગોંડલ રોડ પર હોવો જોઈએ. તો તેની લાશ મોરબી રોડ પર કેવી રીતે મળી? શું લિફ્ટ લેનારા યુવકે જ રસ્તામાં છરી બતાવી તેનું અપહરણ કર્યું હતું? પોલીસે તપાસના તમામ પાસાં ફેંદી નાખ્યા. પણ હિતેષની કોઈની સાથે દુશ્મની હોવાની કોઈ જાણકારી ન મળી, તેનો સ્વભાવ એકદમ વ્યવસ્થિત હતો. ધંધાકીય રીતે પણ કોઈ દુુશ્મન ન હતો. એટલું જ નહીં, આ ઉપરાંત જ્યારે પોલીસે તેના વ્યક્તિત્વ વિશે તપાસ કરી તો પણ કાંઈ એવી માહિતી હાથ ન લાગી જેનાથી કેસ ઉકેલવામાં મદદ મળે. હિતેષને દારૂ-જુગારની આદત ન હતી. તેના કોઈ પરસ્ત્રી સાથે સંબંધ પણ નહોતા. એટલે પ્રેમપ્રકરણમાં હત્યા થઈ હોવાના એન્ગલથી પણ પોલીસના હાથ ખાલી હતા. તો પછી હત્યા પાછળનું કારણ શું હોઈ શકે? એક રિપોર્ટ સોંપતા પોલીસકર્મીએ અધિકારીને કહ્યું, સાહેબ, આ કેસ લૂંટનો હોય એમ લાગતું નથી. ખિસ્સામાંથી માત્ર 10 હજાર અને એક મોબાઈલ લેવા માટે કોઈ વ્યક્તિ શરીર પર આટલા ઘા ન મારે. વિચારવા જેવી સૌથી અજીબ વાત એ છે કે પુરાવાઓ એવી રીતે સાફ કર્યા કે ફોરેન્સિક ટીમને પણ કશું ખાસ મળ્યું નથી. દિવસો વીતતા ગયા. કોલ ડિટેઈલ્સ ચેક કરવામાં આવી, સીસીટીવી ફૂટેજ ખૂબ ઓછા મળ્યા હતા અને તેમાંથી પણ કાંઈ ખાસ ન મળ્યું. હત્યારો જાણે હવામાં ઓગળી ગયો હતો. હવે આ કેસની તપાસ એવી સ્થિતિમાં આવીને ઊભી હતી જ્યાંથી આગળ કોઈ રસ્તો દેખાતો ન હતો. સ્થાનિક પોલીસ પણ હવે અન્ય કેસ પર ફોકસ કરવા લાગી. આ કેસ વણઉકેલ્યો સાબિત થવા જઈ રહ્યો હતો અને ફાઈલ પર ધૂળ જામવાની તૈયારી હતી, ત્યારે રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનર ગીથા જોહરીના ધ્યાને આ કેસ આવ્યો. તેમણે કેસની તપાસ ક્યાં સુધી પહોંચી એ માહિતી જાણી અને પછી એક કડક આદેશ સાથે ફાઈલ બંધ થતી અટકાવી. તેમણે આ રહસ્યમય ખૂન કેસની તપાસ રાજકોટ ક્રાઈમ બ્રાંચના તત્કાલીન પીઆઈ એચ.કે. રાણાને સોંપી. રાણા તેમની તેજતર્રાર તપાસ અને ગુનેગારોના મન વાંચવાની કળા માટે જાણીતા હતા. પરંતુ તેમને ખબર નહોતી કે તેઓ જે રહસ્ય ઉકેલવા જઈ રહ્યા છે, તે ભારતીય ગુનાખોરીના ઇતિહાસમાં સૌથી અજીબ કિસ્સાઓમાંથી એક સાબિત થવાનો હતો. પીઆઇ એચ.કે.રાણાએ બી ડિવિઝન પોલીસ પાસેથી તપાસના તમામ પેપર્સ મંગાવીને અભ્યાસ શરૂ કર્યો. તપાસનીશે શું-શું તપાસ કરી? કોના કોના નિવેદન લીધા હતા? એ નામની અલગ નોંધ કરી તમામના નિવેદન બારીકાઇથી વાંચ્યા હતા. પીઆઈ રાણાએ સ્ટાફને આદેશ આપ્યો, આ કેસને લગતા CDR (કોલ ડિટેલ રેકોર્ડ) ફરીથી કાઢો જ્યારે કોલ ડિટેઈલ્સની સેંકડો એન્ટ્રીઓ તપાસવામાં આવી, ત્યારે રાણાની નજર એક એવા મુદ્દા પર અટકી જ્યાં અગાઉની તપાસ ટીમ કદાચ થાપ ખાઈ ગઈ હતી. જે તે સમયે થયેલી તપાસમાં કોલ ડિટેઇલમાં જેટલા શંકાસ્પદ નંબર મળ્યા હતા. એ પૈકી કેટલાક વ્યક્તિના નિવેદન લેવાયા નથી. જો કે એક શક્યતા એવી પણ હતી કે બનાવ બન્યો એ પછી જે લોકોની પૂછપરછ થઇ હોય એમાંના કેટલાક શંકાસ્પદ નહીં લાગ્યા હોય. એટલે તેમના સત્તાવાર નિવેદન નહીં લીધા હોય. પરંતુ એચ.કે.રાણા માટે એકેએક એન્ટ્રી મહત્વની હતી. પીઆઈ રાણાએ એક લિસ્ટ તૈયાર કર્યું અને પોતાના વિશ્વાસુ સ્ટાફમાંથી કોન્સ્ટેબલ આર.કે.જાડેજા અને ચેતનસિંહ ગોહિલને કામે લગાડ્યા. તેમને કહ્યું, લિસ્ટમાં જેટલા નામ છે, એ તમામને બોલાવો. આ લોકોને સવાલ કરવા છે. મહિનાઓ પછી હિતેષ પટેલના હત્યાકાંડની તપાસમાં દોડધામ શરૂ થઈ ચૂકી હતી. આ કેસ સાથે જોડાયેલા લોકોના ધબકારા પણ વધી ગયા હતા. કારણ કે આ વખતે કેસની તપાસ ક્રાઇમ બ્રાંચ પાસે હતી. એક પછી એક વ્યક્તિઓ રાજકોટ ક્રાઇમ બ્રાંચના પગથિયા ચડવા લાગ્યા. તમામ પાસેથી ઝીણામાં ઝીણી વિગતો લેવાનો પ્રયાસ થયો, નિવેદનો નોંધાવવા લાગ્યા. આ પ્રક્રિયા અગાઉ પણ થઈ હતી. પણ આ વખતે ટેક્નોલોજીનો સાથ લેવાયો હતો. દરેક શકમંદના મોબાઈલ ટાવર લોકેશન મંગાવવામાં આવ્યા. 16-17 ઓગસ્ટની રાત્રે તેઓ ક્યાં હતા? એ નિવેદન અને ટેક્નિકલ પુરાવાની સરખામણી થવા લાગી. કોન્સ્ટેબલ જાડેજા અને ચેતનસિંહ કમ્પ્યુટર સ્ક્રીન પર લોકેશનનું એનાલિસિસ કરી રહ્યા હતા. ત્યારે જાડેજાની આંગળી એક નામ પર સ્થિર થઈ ગઈ. સાહેબ, આ માણસની ગતિવિધિ જરા અજૂગતી લાગે છે. નામ સરમણ. હિતેષ અને સરમણ બન્ને રાજકોટના કોઠારિયા રોડ વિસ્તારના જ રહેવાસી. 17 ઓગસ્ટની રાત્રે જ્યારે હિતેષનું મર્ડર થયું ત્યારે સરમણનું લોકેશન મોરબી રોડ પર બતાવે છે. સાહેબ, લાશ પણ મોરબી રોડ પરથી જ મળી હતી. પીઆઈ એચ.કે.રાણાની આંખોમાં પણ જાણે કે ચમક આવી. તરત જ બોલ્યા તો પછી સરમણને ઉપાડો. નક્કી ત્યાંથી કંઈક મળશે. થોડી જ વારમાં સરમણને હાજર કરી દિધો. તેને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં એક જગ્યાએ બેસાડવામાં આવ્યો. સામાન્ય રીતે ગુનેગારો પોલીસને જોઈને ગભરાઈ જતા હોય છે પણ સરમણ સાવ શાંત હતો. જાણે તેણે પહેલેથી જ બધું વિચારી રાખ્યું હોય. કોન્સ્ટેબલ આર.કે.જાડેજા તેની પાસે પહોંચ્યો અને એકદમ હળવાશથી વાત શરૂ કરી. પહેલો જ સવાલ કર્યો, સરમણ… એ રાતે તું મોરબી રોડ પર શું કરતો હતો? લોકેશન તો ત્યાંનું આવે છે. સરમણે જરાય ખચકાયા વગર જવાબ આપ્યો, સાહેબ, એ રાતે તો રતનપર ગામમાં મોટો ડાયરો હતો. હું તો ડાયરો સાંભળવા ગયો હતો. મોડી રાતે ડાયરો પત્યો એટલે ઘરે પાછો આવ્યો. સરમણનો જવાબ એટલો આત્મવિશ્વાસથી ભરેલો હતો કે કોઈ પણ માની જાય. કોન્સ્ટેબલ જાડેજાએ પણ એવો જ ડોળ કર્યો કે જાણે તેની વાતથી સંતુષ્ઠ છે. બીજા બે-ચાર સવાલ કર્યા અને પછી તેને જવા દીધો. સરમણ મનોમન હાથકારો અનુભવતો ક્રાઇમ બ્રાંચના પગથિયા ઉતરી ગયો. જો કે આર.કે. જાડેજા અનુભવી હતા. તેમણે સરમણની વાતને પુરવાર કરવા માટે તપાસના ઘોડા દોડાવ્યા. તુરંત રતનપર ગામના સરપંચ અને ગામના આગેવાનોને ફોન કર્યા. પૂછ્યું, ઓગસ્ટ મહિનામાં તમારે ત્યાં કોઈ ડાયરાનું આયોજન થયું હતું? જરા તપાસીને કહેશો? સામેથી જે જવાબ મળ્યો અને સરમણના જુઠ્ઠાણા પરથી પડદો ઉઠી ગયો. સાહેબ, શું વાત કરો છો? છેલ્લા એક વર્ષમાં અમારા ગામમાં કોઈ મોટો ડાયરો તો શું નાનો પ્રોગ્રામ પણ નથી થયો. જાડેજાએ ફોન મૂક્યો અને પીઆઈ રાણા તરફ જોયું, સાહેબ, સરમણ સફેદ જૂઠ બોલી રહ્યો છે. રતનપરમાં કોઈ ડાયરો હતો જ નહીં. એનો અર્થ એ કે એણે પોતાનું લોકેશન છુપાવવા માટે ડાયરાનું બહાનું બનાવ્યું હતું. હવે એ સંભાવના વધુ મજબૂત બની ગઈ કે સરમણ એ રાતે મોરબી રોડ પર ડાયરો સાંભળવા નહીં, પણ લોહિયાળ ખેલ ખેલવા ગયો હોઈ શકે છે. પણ આ થિયરી પછી સવાલો પણ ઘણા હતા. જેમ કે સરમણને હિતેષ સાથે શું લેવાદેવા? હિતેષના પિતા તો કહેતા હતા કે કોઈ દુશ્મન નથી તો શું સરમણ સોપારી કિલર હતો? અને જો સોપારી આપી હતી, તો કોણે? સરમણને ફરીથી પકડી લાવો પીઆઈ રાણાએ ફરી આદેશ આપ્યો. થોડા દિવસ અગાઉ હાશકારા સાથે ક્રાઇમ બ્રાંચની ઓફિસેથી નીકળેલા સરમણને ફરીથી ત્યાં જ લાવવામાં આવ્યો. આ વખતે પોલીસની રણનીતિ બદલાઈ ગઈ હતી. જેવો સરમણ ક્રાઇમ બ્રાંચે દાખલ થયો તેને એક ખૂણામાં ખુરસી પર બેસાડી દેવામાં આવ્યો. 15 મિનિટ... 20 મિનિટ... અડધો કલાક વીતી ગયો. કોઈએ સરમણને એકેય સવાલ ન કર્યો. પોલીસ કર્મચારીઓ પોતાના કામમાં વ્યસ્ત હતા પણ ઘણાની નજર સરમણના હાવભાવ પર હતી. જેમ-જેમ સમય વિતતો ગયો એમ-એમ સરમણની બેચેની સ્પષ્ટ દેખાતી હતી. તે વારંવાર પોતાના બંને હાથની હથેળીઓ ઘસતો, ક્યારેક લોકઅપના સળિયા તરફ જોતો તો ક્યારેક બહાર નીકળવાના દરવાજા તરફ. તેના કપાળ પર પરસેવો પણ વળવા લાગ્યો હતો. પોલીસની તપાસમાં એવું કહેવાય છે કે ‘ગુનેગારને શાંતિ હંમેશા ડરાવે.’ બસ આ જ રણનીતિ સરમણ સામે અપનાવવામાં આવી. પીઆઈ એચ.કે.રાણા જાણતા હતા કે હવે શિકાર પાંજરામાં પુરાવા માટે તૈયાર છે. તેમણે પોતાની ચેમ્બરમાંથી બૂમ પાડી, અંદર આવ સરમણ… સરમણ ઊભો થયો. અંદર જતી વખતે ફરી એકવાર તેની નજર લોકઅપ પર પડી. જાણે તેને ભવિષ્ય દેખાઈ રહ્યું હોય. તે પીઆઈની ચેમ્બરમાં દાખલ થયો. રાણા કોઈ ફાઈલ વાંચવામાં મશગૂલ હતા. તેમણે માથું ઊંચું કર્યા વગર જ સવાલ કર્યો, અરે સરમણ… પેલો રતનપરનો ડાયરો તને યાદ છે ને... એમાં કયા-કયા કલાકારો આવ્યા હતા? નામ ખબર છે? આમ તો સવાલ સાવ સાદો જ હતો પણ સરમણના પગ નીચેથી જાણે કે જમીન સરકી ગઈ. તે થોડીવાર મૂંઝાયો. પછી બોલ્યો, સાહેબ... મને કલાકારના નામ તો બરાબર યાદ નથી, પણ સાહેબ, જમાવટ બહુ હતી હોં… પીઆઈ રાણાએ પોતાના હાથમાં રહેલી ફાઇલ ધીમેથી બંધ કરી. ટેબલ પર ફાઈલ પડવાનો અવાજ શાંત ચેમ્બરમાં ધડાકા જેવો લાગ્યો. એચ.કે.રાણા ખુરસી પરથી ઉભા થયા અને ધીમા ડગલે સરમણની પાસે આવ્યા. પછી તેમણે તેના ખભે હાથ મૂક્યો. સરમણ…. ભાઈ... તું ડાયરાનો આટલો બધો શોખીન છે, છેક કોઠારિયા રોડથી છેવાડે રતનપર સુધી લાંબો થયો અને તને એક પણ કલાકારનું નામ યાદ નથી? તારી જમાવટમાં કંઈક ખૂટે છે દોસ્ત. પીઆઈની સામે જોઈને સરમણ સમજી ગયો કે હવે તેની પાસે છૂટવાનો કોઈ રસ્તો નથી. તેણે છેલ્લા કેટલાય મહિનાઓથી ઘડેલી ડાયરાવાળી સ્ક્રિપ્ટ ખુલ્લી પડી ગઈ હતી. ચેમ્બરમાં થોડી સેકન્ડો સુધી સન્નાયો છવાયેલો રહ્યો. સરમણ માથું નમાવીને પોતાના પગ જોવા લાગ્યો. રીતસરનો ફફડી રહ્યો હતો. તેણે બંને હાથ જોડ્યા અને પીઆઈ રાણા સામે કરગરી પડ્યો. સાહેબ... મને થોડીવાર માટે જાડેજા સાહેબ સાથે ખાનગીમાં વાત કરવા દો. મારે જે કહેવું છે એ એમને કહીશ. કદાચ આર.કે.જાડેજાએ અગાઉની પૂછપરછમાં થોડું નરમ વલણ દાખવ્યું હતું એટલે સરમણને આવો વિચાર આવ્યો હોઈ શકે છે. પીઆઈ રાણાએ તુરંત બેલ વગાડી. કોન્સ્ટેબલ જાડેજા અંદર આવ્યા. જાડેજા, આ તમારી સાથે કંઈક ખાનગી વાત કરવા માંગે છે. આને બાજુના રૂમમાં લઈ જાવ. સરમણે કોન્સ્ટેબલ આર.કે.જાડેજા સામે શું ખુલાસા કર્યા?શું હિતેષની હત્યા સરમણે જ કરી હતી?હિતેષ અને સરમણ વચ્ચેનું કનેક્શન શું હતું?હિતેષે સરમણને લિફ્ટમાં અચાનક બેસાડ્યો હતો કે પછી કોઈ ષડયંત્ર હતું? આવતીકાલે સવારે 6 વાગ્યાથી વાંચો બીજા અને અંતિમ ભાગમાં સ્ફોટક ખુલાસો. (નોંધ: આ સત્યઘટનામાં પોલીસ સ્ટાફ સિવાય તમામ પાત્રના નામ બદલવામાં આવ્યા છે.)

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 6:00 am

પુનર્જન્મ માટે પતિ-પત્નીએ પોતાના જ બલિ ચડાવી દીધા:કમળપૂજા માટે 200 કિલોનું ગિલોટિન બનાવ્યું, લોઢાની બ્લેડ નીચે પડી ને માથાં ધડથી અલગ!

હેમુભાઈ અને તેમનાં પત્ની હંસાબેન બસ્સો કિલો વજનની ધારદાર જંગી બ્લેડ નીચે માથાં રાખીને સૂઈ ગયાં. થોડીવારે મીણબત્તીની જ્યોતથી દોરી કપાઈ અને ઉપર ઊંચકાયેલી લોઢાની ભારેખમ બ્લેડ ધડ દેતી નીચે આવી. એ સાથે જ એકઝાટકે પતિ-પત્નીનાં માથાં ધડથી અલગ થઇ ગયાં. વ્યવસ્થા એ રીતે કરેલી કે બંનેનાં માથાં કપાઈને સીધાં જ હવન કુંડમાં શિવજીની સામે પડે! *** કમળપૂજાનો કાળો કિસ્સો‘માયાજાળ’ના આજના એપિસોડમાં વાત કરીશું કમળપૂજાની. અંધશ્રદ્ધામાં તમે બલિ આપવા વિશે સાંભળ્યું હશે, ક્યારેક પશુની તો દાયકામાં ક્યારેક કોઈ માણસની. પણ સદીઓ પહેલાંની ‘કમળપૂજા’માં તો શિવજીની સામે ભક્ત પોતાના જ માથાનું બલિદાન આપતા તેવું નોંધાયેલું છે. પુસ્તકોમાં વાંચેલી આ પ્રથાનો એક કિસ્સો તાજેતરમાં આપણી નજીકમાં જ બન્યો હતો. વાત છે રાજકોટની નજીક આવેલા વિંછીયાની, જ્યાં પતિ-પત્નીએ જાતે કમળપૂજા કરી, એકસાથે બંનેએ પોતાનું જ બલિદાન આપી દીધું. પણ આવું શુંકામ કર્યું? વો રાઝ ભી ઉસી કે સાથ ચલા ગયા! મિકેનિકલ આવડતનો કેવો ઉપયોગ કર્યો!વિંછીયામાં ગામ છેડે સેંટ મેરી સ્કૂલની દીવાલ પાસે વાડીમાં વાંસની ઝૂંપડીમાં 38 વર્ષના હેમુભાઈ મકવાણાનું ઠેકાણું. 4 ભાઈઓ અને 4 બહેનો વચ્ચે મોટા થયેલા હેમુભાઈ બીજા નંબરના. ચારે બહેનોને પરણાવી દીધેલી. ને ચારેય ભાઈઓનાં પણ લગ્ન થઈ ગયાં હતાં એટલે નજીકમાં જ ઘર રાખી બધા અલગ અલગ રહેતા. પિતાની જમીનમાંથી જ ભાગ પડેલી ભાંડુઓની જમીન આસપાસ. બધા પોતપોતાની જમીનમાં ખેતી કરે ને રોટિયું રળે. પણ બધાનો નિયમ, રોજ રાત્રે એક વાર બાપુજીને મળવા જવાનું. બે વીઘા જમીનના માલિક હેમુભાઈએ એમની વાડીમાં જ ઝૂંપડી બનાવી દીધી હતી. એક વર્ષથી ત્યાં અલગ રહેતા હેમુભાઈ મિકેનિકલ બાબતોમાં હોંશિયાર, એટલે નજીકના એક કારખાનામાં નોકરીએ લાગ્યા હતા. નોકરી રાતપાળીની, એટલે રાત્રે નોકરીએ જાય ને દિવસે ઘરે વાડીએ. *** બલિ ચડાવ્યાના આગલા દિવસેશનિવાર, 15 એપ્રિલ 2023સાંજે સાતેક વાગ્યાનો સમયવિંછીયા, રાજકોટઆજે હેમુભાઈએ નોકરીએ રજા રાખી હતી. બંને બાળકો અને પત્ની હંસાબેન તૈયાર થતાં હતા ત્યાં હેમુભાઈએ બૂમ પાડી, ‘એલાવ, તૈયાર થાવ જલ્દી, આપણે નીકળવાનું છે. અને છોકરાંવ કંઈ ભૂલતાં નંઇ હોં.’ રવિવારની રજાના દિવસે મામાના ઘરે રોકાવા જવા ઉતાવળા ભાઈ-બેને બધુ જલ્દી જલ્દી પેક કર્યું ને મમ્મી-પપ્પા સાથે નીકળી પડ્યાં. *** 8:30 PM બંને બાળકો અને પત્નીને લઈ હેમુભાઈ એમની બહેનના (જેમનું નામ પણ હંસાબેન જ હતું) ઘરે જવા નીકળ્યા. હંસાબેને જમવાની બધી વ્યવસ્થા કરી રાખી હતી. એટલે ઘરે પહોંચતાં જ આખા પરિવારનો હસ્તમેળાપ ચાલ્યો ને હસી-ખુશીથી બેઉ પરિવાર સાથે જમવા બેઠાં. જમી ને ઢાકોઢૂંબો કરી બહેન હંસા સાથે હેમુભાઈએ થોડી વાતચીત કરી. 10 વાગવા આવ્યા એટલે નીકળવાનું ચાલુ કર્યું. ‘હાલ બેન, અમે નીકળીએ. હજુ મારા સાળાને ત્યાં જવાનું સે તો વે’લા ભાગીએ.’ વાતચીત પતાવી હેમુભાઈને એનો કુટુંબકબીલો નીકળ્યો પત્ની હંસાના ભાઈના ઘરે. બંને બાળકોને લઈ મામાને ઘરે પહોંચ્યાં ને બાળકોને ત્યાં મૂકી 11 વાગ્યે પોતાના ઘરે જવા નીકળ્યાં. *** ભોળાનાથ કોઇનાં માથાંનું બલિદાન માગે ખરા? 11:30 PMહેમુભાઈની ઝૂંપડીબંને બાળકોને સાળાના ઘરે મૂકી પતિ-પત્ની નીકળી પડ્યાં પોતાના ધ્યેય તરફ. ઘરે આવી ઝૂંપડીએ પહોંચ્યાં અને તૈયારી શરૂ કરી. તૈયારી કમળપૂજાની. તૈયારી બલિની. તૈયારી ખુદના બલિદાનની! શિવજીની પૂજા કરી શિવલિંગની સામે ગિલોટિન સેટ કરવાની શરૂઆત કરી. બસ્સો કિલો વજનની ધારદાર જંગી બ્લેડ નીચે બંને સૂઈ ગયાં. થોડીવારે મીણબત્તીની જ્યોતથી દોરી કપાઈ અને લોઢાની ભારેખમ બ્લેડ ધડ દેતી નીચે આવી, એ સાથે જ એકઝાટકે પતિ-પત્નીનાં માથાં ધડથી અલગ થઇ ગયાં. વ્યવસ્થા એ રીતે કરેલી કે બંનેનાં માથાં કપાઈને સીધાં જ હવન કુંડમાં શિવજીની સામે પડે!પણ આ દંપતીએ ગિલોટિન બનાવ્યું હતું કેવી રીતે? અને તેનાથીયે મોટો સવાલ, શા માટે? *** ફ્રાન્સમાં શોધાયેલા ગિલોટિનથી વિંછિયામાં માથાં કપાયાંસફેદ કલરના કંતાનની ઝૂંપડીમાં હેમુભાઈએ આ આખું સેટઅપ કરી રાખ્યું હતું. ઝૂંપડીમાં પ્રવેશતાં જ દક્ષિણ બાજુએ 17X16 ઇંચનો માટી-પથ્થરનો હવન કુંડ, દક્ષિણ દિશામાં એનાથી આગળ બે પાઇપ ઊભા કરી એ પાઇપની વચ્ચે ગરગડીથી ઉપર-નીચે થઈ શકે એવી ધારદાર લોખંડની મોટી અને બસ્સો કિલો વજનની હડિમદસ્તા જેવી બ્લેડ સેટ કરી અને નીચે લાકડાનું પાટિયું મૂકી ગિલોટીન બનાવ્યું હતું (બાય ધ વે, મધ્ય યુગીન ફ્રાન્સમાં ગુનેગારોને મૃત્યુદંડ આપવા માટે આવાં ગિલોટિન વપરાતાં). એ માંચડાની જ આગળ દક્ષિણમાં ગોડદાની પથારી, જેના પર પતિ-પત્ની સૂઈ શકે. ગિલોટીનની ઉપરની બ્લેડ સાથે દોરી બાંધી પૂર્વ-દક્ષિણ દિશામાં નીચે જમીન સાથે બાંધી દીધી. એ દોરી નીચે જ્યાંથી શરૂ થાય ત્યાં દોરીની એક્ઝેક્ટ બાજુમાં એક દીવો પ્રગટાવ્યો. જેથી જ્યારે એ દીવો પેટાવવામાં આવે તો એ દીવાની જ્યોતથી દોરી ધીમે ધીમે સળગે અને થોડી વારમાં દોરી જેવી ત્યાંથી તૂટે એટલે ઉપર બાંધેલી બ્લેડ નીચે પડે અને પથારી પર સૂતેલાં પતિ-પત્નીની ગરદન પર ધારદાર બ્લેડ પડે, બ્લેડ નીચે પડતાં જ બંનેનાં માથાં કપાઈ શિવલિંગની સામે રાખેલા હવનકુંડમાં પડે અને બલિનો વિધિ પૂરી થાય. *** એક માથું હવનકુંડમાં પડ્યું, બીજું થોડે દૂર 12 વાગ્યા પછી હેમુભાઈની ઝૂંપડીબંને પતિ-પત્નીએ પૂરી તૈયારી કરી ને હવનમાં પૂજા કરી થોડી વારમાં દોરી નીચે દીવો પ્રગટાવ્યો. પતિ- પત્ની ગિલોટિન નીચે બનાવેલી પથારી પર એ રીતે સૂતાં કે જેથી માથું હવન કુંડ તરફ રહે અને ઉપરથી બ્લેડ બંનેનાં માથાં પર પડે. દીવાની જ્યોતે ધીમે ધીમે પોતાનું કામ ચાલુ કર્યું ને દોરીના એક એક રેસા ધીમે ધીમે બળીને તૂટતા ગયા, ને અંતે બચ્યા-કૂચ્યા થોડા રેસા એ લોખંડની પાઇપનું વજન ઊંચકી ન શક્યા. બંનેની આંખો સામે લોખંડની પાઇપ પર ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું ને ધારદાર બ્લેડ ધડામ દઈને નીચે પડી, પતિ-પત્નીના ગળા પર! બંનેનું માથું ધડથી અલગ અને શિવલિંગની સામેના હવનકુંડમાં સ્વાહા! હંસાબેનનું માથું હવન કુંડમાં પડ્યું ને હેમુભાઈનું હવનકુંડની પાળી સાથે અથડાઇ કુંડની બાજુમાં. પતિ-પત્નીએ શિવજીની સામે હવનમાં પોતાનાં માથાંનો બલી ચડાવ્યો! *** તલવારથી પોતાનું જ માથું કાપીને ચડાવે એ ‘કમળપૂજા’જે પ્રમાણે જૂનાં પુસ્તકોમાં ઉલ્લેખ છે એ પ્રમાણે, કમળપૂજા એટલે જે તે વ્યક્તિ શિવમંદિરમાં જઈ મહાદેવની પૂજા કરે, તેમાં સોપ્રથમ પોતાના હાથ-પગના નખ ઉતારી શિવજીને ચડાવે. પછી તલવારની મુઠ અને અણીવાળા છેડે મજબૂત દોરી બાંધીને પછી તલવાર ખભા ઉપર ગરદન પર મૂકીને દોરીને જોરથી જાટકો મારે, જેથી તેનું માથું કપાઈને સીધું શિવલિંગ ઉપર પડે. આ ઘટનાને ‘કમળપૂજા’ કહે છે. ઇ.સ. 1347માં ગુજરાતમાં પહેલી કમળપૂજા થઈ હોવાનું ઇતિહાસ કહે છે. જે બાદ ઘણી કમળપૂજાઓ થઈ, પણ દરેકમાં યુદ્ધ લડતાં લડતાં ઘવાયેલા સૈનિકોએ રણભૂમિમાં જ રેતી-ગારાનું શિવલિંગ બનાવીને શિવજીને કમળ પૂજા કરેલી હોવાનો પુસ્તકોમાં ઉલ્લેખ છે. *** રવિવાર, 16 એપ્રિલ 2023વહેલી સવારેવિંછીયા, રાજકોટમામાના ઘરે ગયેલાં બંને બાળકોમાંથી દીકરીને ઘરે કોઈ વસ્તુ ભુલાઈ ગઈ હશે તો એ માટે મામાને કહ્યું કે, હું ઘરે આંટો મારીને આવું. દીકરી મામાના ઘરેથી નીકળીને ધીમે ધીમે રસ્તામાં ગીત ગાતી ગાતી રમતાં રમતાં ઘરે પહોંચી. ઘરે જોયું તો મમ્મી-પપ્પા હતાં નહીં. થયું કે વાડીએ કામ કરતાં હશે. એટલે દોડીને વાડીએ ગઈ, પણ વાડીએ પણ કોઈ ન દેખાયું. ત્યાં વાડીએ ઝૂંપડી તો બાંધેલી હતી જ, એટલે થયું કે ઝૂંપડીમાં કદાચ ભાત (વાડીએ જમાતું જમણ) જમવા બેઠાં હશે. ‘મમ્મી…. બાપુ….’ બૂમો પાડતી ઝૂંપડીમાં ઘૂસી ત્યાં તો બાળકીના મોંમાંથી મોટી ચીસ નીકળી ગઈ. નાનકડી દીકરીની સામે જોયું પોતાનાં જ મા-બાપની લાશ પડી હતી, હવનકુંડમાં એની સગી માનું બળેલું માથું હતું, ને હવન કુંડની બાજુમાં પિતાનું માથું. આ દૃશ્ય જોઇને એ નાનકડી બાળકી પર શું વીતી હશે તેની કલ્પના કરીને જ કંપારી છૂટી જાય છે. ‘મારાં મમ્મી-પપ્પા મરી ગયાં’ચોધાર આંસુએ રડતી દીકરી બૂમાબૂમ કરતી કરતી બાજુની વાડીમાં કામ કરતાં ભરતકાકા (હેમુભાઈના નાનાભાઈ)ની વાડીએ ગઈ, જ્યાં કાકા-કાકી નિંદણ વાઢતાં હતાં . દીકરી એટલી ગભરાયેલી હતી કે ત્યાં જતાં જતાં રસ્તે પડી ગઈ, પણ ભરતકાકાને દીકરીની ચીસ સાંભળાઈ એટલે એ દોડીને સામે ગયા. કાકાને વળગી દીકરી જોર જોરથી રડવા માંડી. પોતાની વાડી તરફ ઈશારો કરી એક જ વાત બોલે રાખે, ‘મારાં મમ્મી-પપ્પા મરી ગયાં.’ કાકા ભરતભાઇ ભત્રીજીને લઈ દોડતાં દોડતાં હેમુભાઈની વાડીએ પહોંચ્યા ને ત્યાં જઈ જોયું તો ભરતભાઇની આંખો ફાટી ગઇ. સામે પડી હતી પોતાના મોટાભાઈ અને ભાભીની માથાં કપાયેલી લાશ! ભરતભાઈની આંખો પણ ભીની થઇ ગઇ, ને દોડીને એમણે બાપુજીને વાત કરી. હેમુભાઈના પિતા ભોજાભાઈએ આવી બધું જોયું ને બધા દીકરાઓને જગ્યાએ બોલાવ્યા કે હવે શું કરવું. ત્યાં મોટા ભાઈ રાજુભાઇએ સમજદારીથી પહેલાં પોલીસને ફોન કર્યો. નાનકડા વિંછીયા ગામમાં 5-10 મિનિટમાં પોલીસ સ્થળે પહોંચી ગઈ. પંચનામું કરી ઇન્વેસ્ટિગેશનની શરૂઆત કરી. ત્યાં અંદરથી 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર બે પાનાંની સુસાઇડ નોટ મળી આવી. *** સુસાઇડ નોટઃ ‘અમે અમારી મરજીથી આ પગલું ભરીએ છીએ’ તળપદી ભાષામાં લખેલી સુસાઇડ નોટનું ભાષાંતર કંઈક આ રીતે હતુંઃ પેજ 1 : ‘અમે બંને અમારા હાથે અમારા રાજીપે જીવનનો ત્યાગ કરીએ છીએ. મારાં પત્ની હંસાબેનની તબિયત સાજી નથી રહેતી. અમારા ભાઈઓ, બા-બાપુજી, બહેનો કે કોઈએ અમને ક્યારેય કશું કહ્યું નહોતું, એટલે એમને કોઈ જાતની પૂછપરછ કરતાં નહીં. અમારાં સાસુ-સસરાએ પણ અમને ક્યારેય કશું માઠું કહ્યું નથી. એમને પણ કોઈ પણ પ્રકારની પૂછપરછ ન કરતાં. અમને કોઈએ કશું કહ્યું નથી. અમે અમારી મરજીથી આ પગલું ભરીએ છીએ, એટલે કોઈની કશી પૂછપરછ ન કરતાં.’ પેજ 2 : ‘આ કાગળ મારા ભાઈ માટે. તમે ત્રણેય ભાઈ સાથે રહેજો અને મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજો અને સાથે ચારેય બહેનોનું પણ ધ્યાન રાખજો. મારા દીકરા અને દીકરીનું ધ્યાન રાખજો. તમે ત્રણેય ભાઈઓ થઇને ધ્યાન રાખજો. દીકરીને પરણાવી દેજો. મને મારા ભાઈઓ ઉપર ભરોસો છે.’ *** સુસાઇડ નોટ માટે સ્ટેમ્પ પેપર ખરીદેલાં!હેમુભાઇ અને હંસાબેનની તૈયારી એટલી જડબેસલાક હતી કે, સુસાઇડ લખવા માટે અગાઉથી સ્ટેમ્પ પેપર પણ લઈ રાખ્યાં હતાં. પોલીસે નજીકના સ્ટેમ્પ પેપર સેલરની તપાસ કરી તો જાણ થઈ કે, બે દિવસ પહેલાં જ હેમુભાઈ 50 રૂપિયાનું સ્ટેમ્પ પેપર લઈ ગયા હતા. જેથી પોતાના પરિવાર પર કોઈ પૂછપરછ ન થાય અને પોતાનાં બાળકોનું પણ ભવિષ્ય બગડે નહીં. ‘કોઇ વિધિને લીધે આમ કર્યું હશે’તેમના ભાઈઓ બાજુ બાજુની વાડીમાં જ કામ કરતા, છતાં અગાઉ કોઈને આવી હિચકારી ઘટનાનો અણસાર સુદ્ધાં કેમ ન આવ્યો? એ વિશે અમે હેમુભાઈના નાના ભાઈ ભરતભાઈ સાથે વાત કરી, જેમની પાસે દીકરી દોડતી દોડતી ગઈ હતી. ભરતભાઈ એ ઘટના વિશે વાત કરતાં કહે, ‘એમણે ઝૂંપડીમાં જે કંઈ પણ બનાવ્યું એ બધું રાત્રે જ બનાવ્યું હશે. કેમ કે આગલા દિવસે તો અમે પણ કામ કરતાં હતાં, તો ત્યાં કશું નહોતું. એમણે આટલું મોટું પગલું ભરી લીધું, પણ અગાઉ અમને કોઈ ગંધ પણ નહોતી આવવા દીધી કે, અમે આવું કશું કરવાનાં છીએ. જે રીતે બધું થયું એ જોતાં આ કોઈ વિધિના કારણે થયું હોય એવું જ લાગે છે.’ ‘અમે ભાઇઓ દીકરીને પરણાવીશું’પોલીસે એ પછી તમને કશું કહ્યું હતું?‘ના ના, પોલીસે ખાલી સાધારણ પૂછપરછ કરી હતી કે, તમને કશું ખબર છે? કોઈને વાત કરી હતી? બાકી તો કોઈએ કંઈ નથી કીધું.’ ભરતભાઈ બોલ્યા,તો અત્યારે બંને બાળકો ક્યાં છે?’ અમે પૂછ્યું. ‘દીકરી 12મા ધોરણમાં અને દીકરો 10મા ધોરણમાં ભણે છે. બંને અત્યારે અહીં રાજકોટ જિલ્લાના એક ગામમાં આવેલી એક સંસ્થાની હોસ્ટેલમાં રહે છે.’‘તમારે એમની સાથે કોઈ અવર-જવર?’ભરતભાઈ કહે, ‘હા, જ્યારે જ્યારે વાલી સંમેલન કે એવું કશું હોય ત્યારે અમે નાસ્તો આપવા જઈએ છીએ.’‘તમારા ભાઈએ દીકરીનાં લગ્નની વાત કરી હતી એ?’ભરતભાઈ કહે, ‘અત્યારે તો એ ભણે છે, પણ નોટમાં અમારા ત્રણેય ભાઈઓને લગ્ન કરાવવાની જવાબદારી આપી હતી તો અમે ત્રણેય ભાઈઓ મહેનત કરી એ પૂરી કરીશું.’ ‘મારા દીકરાએ આવું પગલું કેમ ભર્યું એ જ સમજાતું નથી’જ્યારે હેમુભાઈના પિતાએ પોલીસને કહ્યું હતું કે, ‘મારો-દીકરો અને વહુ બહુ જ ધાર્મિક હતાં, પણ એ લોકો આવું પગલું ભરશે એની આશા નહોતી. અમારી કે એની વાડીએ ક્યારેય કોઈ સાધુ-સંતો પણ નહોતા આવતા. છેલ્લા એક વર્ષથી જ એ લોકો અલગ રહેવા ગયાં હતાં, બાકી તો એ અમારી સાથે જ રહેતાં. ખબર નહીં કેમ અચાનકથી આવું પગલું ભરી લીધું.’ ઇન ફેક્ટ, 2023માં બનેલી આ ઘટનામાં કોઈ જ FIR નોંધવામાં નહોતી આવી. કેમ કે કોઈએ ફરિયાદ નહોતી નોંધાવી. લાશની પાસેથી સુસાઇડ નોટ પણ મળી હતી, એટલે છેલ્લે આત્મહત્યા ગણીને પોલીસે બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) પાસે નમૂના લેવડાવી ઝીણામાં ઝીણી તપાસ આદરી. અંધશ્રદ્ધામાં મા-બાપના જીવ ગયા, બાળકો અનાથ બન્યાંપરંતુ ક્યાંય કોઈ જ એવો ક્લુ ન મળ્યો કે એક્ઝેક્ટ્લી કયા કારણોસર આ દંપતીએ આવું પગલું ભર્યું હશે. આ આખી ઘટનામાં અંધશ્રદ્ધાના કારણે બંનેએ આત્મહત્યા કરી હશે, એ મુદ્દે વાત આવીને અટકી ગઈ. અંતે દિવસો-મહિનાઓ વીતતા ગયા એમ આ વાતને લોકો પણ ભૂલતા ગયા. અપૂરતું ભણતર અને અંધશ્રદ્ધાના પડછાયાએ વધુ બે જીવ લઈ બે બાળકોને અનાથ કરી મૂક્યાં! બાળકો અત્યારે અનાથ આશ્રમમાં માતા-પિતાની છત્રછાયા વિનાનું જીવન વીતાવી રહ્યા છે. માતા-પિતાએ આ પગલું કેમ ભર્યું, એ પ્રશ્ન હંમેશને માટે વણઉકેલ્યો રહી ગયો.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 6:00 am

અરવલ્લી બચાવો અભિયાન સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન‎:અરવલ્લી માત્ર પર્વતમાળા નથી‎પરંતુ ભારતનો જીવંત વારસો છે‎

પાલનપુરમાં અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ અને શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે અરવલ્લી બચાવો અભિયાન સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં અરવલ્લીને ભારતનો જીવંત વારસો ગણાવી તેના સંરક્ષણની માંગ સાથે પાલનપુરમાં સર્વિસ રોડ ખુલ્લો રાખવાની રજૂઆત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી પર્વતમાળાને પર્વતમાળા ન ગણવાની બાબતે દેશભરમાં વિરોધનો માહોલ સર્જાયો છે.જેથી સોમવારે પાલનપુરમાં અરવલ્લી બચાવો અભિયાન સમિતિ દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.સમિતિએ રજૂઆતમાં જણાવ્યું હતું કે,અરવલ્લી માત્ર પર્વતમાળા નથી, પરંતુ ભારતનું જીવંત વારસો છે. અરવલ્લી રણવિસ્તારને વધતા અટકાવે છે, દક્ષિણ તરફથી આવતા ગરમ પવનો રોકે છે તેમજ શુદ્ધ હવા અને પાણી પૂરું પાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો ભુમાફિયા અને ખનન પ્રવૃત્તિઓથી અરવલ્લીનું ખંડન થશે તો માનવજીવન સાથે પ્રાણી-પક્ષીઓ પર પણ ગંભીર અસર થશે. સમિતિએ અમારી સંસ્કૃતિ, અમારી અરવલ્લીના નારા સાથે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર રિવ્યુ લઈને ફેરફાર કરવાની માંગ કરી હતી. સાથે સાથે પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે 5 થી 7.5 મીટર સર્વિસ રોડ ખુલ્લો રાખવા પણ રજૂઆત કરાઈ હતી.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 5:59 am

લક્ઝરી બસ પલટી ગઈ:જોધપુરથી ગોવા જતી બસના ચાલકે કાબુ ગુમાવતાં બસ ગુલાંટ મારી ગઈ

પાલનપુર નજીક ચિત્રાસણી હાઇવે પર જોધપુરથી ગોવા જતી લક્ઝરી બસ અચાનક પલટી ગઈ હતી. ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રસ્તા પરથી નીચે ઉતરીને ગુલાંટ મારી હતી. આ અકસ્માતમાં 4-5 મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી હતી. પાલનપુર નજીક ચિત્રાસણી હાઇવે પર રવિવારની મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ જોધપુરથી ગોવા જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ નંબર એઆર-11-ઈ-2300 ના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રસ્તા પરથી નીચે ઉતરી ગુલાંટ મારી ગઈ હતી. અકસ્માત રાત્રીના સમયે થયો હતો, જેથી હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિકજામ ની સ્થિતિ સર્જાઈ હતી. બસમાં સવાર ચારથી પાંચ મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્તોને ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જ્યારે અન્ય મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી. અકસ્માતની જાણ થતા જ તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો. પાલનપુર નજીક ચિત્રાસણી હાઇવે પર લક્ઝરી બસ પલટી હતી

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 5:57 am

ભાજપની નવી ટીમની બેઠક સમયે શું દેખાયું?:સાંસદ પુનમબેન માડમે બન્ની ગજેરાનો વીડિયો રિપોસ્ટ કર્યો; કોંગ્રેસના કાર્યકરોએ કાર્યાલયનું શટર પાડી દીધું, જુઓ VIDEO

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 5:55 am

સામાજિક ‎‎સુધારાની દિશામાં પ્રેરણાદાયી પહેલ:સરસ્વતીના મોટા નાયતા ગામમાં કુરિવાજો અને ખર્ચાળ પ્રથાઓ ઉપર પ્રતિબંધ મૂકાયો

સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામે સામાજિક સુધારાની દિશામાં એક પ્રેરણાદાયી પહેલ કરી છે. ગામના ચોકમાં એકત્ર થયેલા વડીલો અને યુવાનોએ સર્વસંમતિથી એક નવું સામાજિક બંધારણ ઘડ્યું છે, જેનો અમલ 1 જાન્યુઆરી, 2026થી કરવામાં આવશે. નવા નિયમો અનુસાર, લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની સંખ્યા મર્યાદિત કરી માત્ર 100 રાખવામાં આવી છે. લગ્ન પ્રસંગે થતા વરઘોડા, ડી.જે., એન્ટ્રી પ્રથા અને દારૂખાનું ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. ઘરેણાંની બાબતમાં પણ સાદગી અપનાવી ચાંદીનું મંગળસૂત્ર અને પાયલ જેવી મર્યાદિત વસ્તુઓ જ આપવાની રહેશે, જ્યારે ઓઢમણા અને વાસણની ઢાલ જેવી પ્રથાઓ બંધ કરવામાં આવી છે. મામેરાની રકમ પણ 11,000 થી 1,11,000 સુધી મર્યાદિત કરાઈ છે. મરણ પ્રસંગની વિધિઓ પણ હવે પાંચ દિવસમાં પૂર્ણ કરવી પડશે અને 60 વર્ષથી વધુ વયની વ્યક્તિના અવસાન પર માત્ર ખીચડી-કઢીનો સાદો જમણવાર જ કરી શકાશે. યુવા સરપંચ વિક્રમજી ઠાકોરે જણાવ્યું હતું કે, આ નિયમોનો ભંગ કરનાર પાસેથી વસૂલાયેલા દંડની રકમનો ઉપયોગ ગામના શૈક્ષણિક વિકાસ માટે કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 5:53 am

પોલીસ કાર્યવાહી:પાટણ શહેરમાં પાર્લરમાંથી પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ જથ્થા સાથે એક ઝબ્બે

સરકારના નશામુક્ત ગુજરાત અભિયાન હેઠળ પાટણ પોલીસ એક્શન મોડમાં આવી છે. યુવાધનને નશાના રવાડે ચઢતા અટકાવવા માટે પાટણ એસ.ઓ.જીની ટીમે પાટણ શહેરમાં આવેલા એક પાર્લર પર તપાસ કરી નશીલા પદાર્થોના સેવનમાં વપરાતા પ્રતિબંધિત રોલ પેપર અને સ્મોકિંગ કોનનો જથ્થો ઝડપી પાડ્યો છે. પાટણ એસ.ઓ.જીની ટીમ પી.આઈ. જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે વખતે બાતમી મળી હતી કે પાટણ શહેરમાં સિદ્ધપુર હાઈવે પર ગેલોપ્સ કોમ્પ્લેક્સમાં આવેલા ક્રિષ્ના પાર્લરમાં પ્રતિબંધિત મટીરિયલનું વેચાણ થાય છે. પોલીસે બાતમી આધારે તપાસ કરી ત્યાંથી રૂ2,880 નાં ગોગો સ્મોકિંગ કોન કબજે કર્યા હતા. સુઈગામના ચાળાના વિપુલ દાનાભાઈ ચૌધરીને પકડી તેની સામે તેની વિરુદ્ધ BNS કલમ 223 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે પાટણ સિટી બી-ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 5:52 am

ગંભીર અકસ્માત સર્જાયો:પાટણ નજીક આઇસર અને ડમ્પર અથડાતાં ચાલકને કેબિનના પતરા કાપી બહાર કઢાયો

પાટણ-શિહોરી હાઈવે હાઈવે પર ભુતિયાવાસણા ગામ નજીક સોમવારે સાંજે 7:30 કલાકના સમયે આઈસર અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર ચાલક ફસાતા સ્થાનિક લોકોએ મહામુસીબતે બહાર કાઢી 108 દ્વારા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ ડમ્પરના ચાલક ઠાકોર હરેશજી ચેનાજી કેબિનના ભાગમાં ફસાતા પતરાં કાપીને સ્થાનિક લોકોએ અને વાહનચાલકોએ દોરડા વડે પતરાં ખેંચીને ઈજાગ્રસ્તને બહાર કાઢવામાં મદદરૂપ થયા હતા . કાંસા ગામના હરેશજી ઠાકોરને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 5:52 am

ચાઇનિઝ દોરી સામે પોલીસની કડક કાર્યવાહી‎:પાટણમાં ચાઈનીઝ દોરીની 28 ફીરકી સાથે બે પકડાયા

પાટણ શહેરમાં ગાંધીબાગ અને બગલી ખાટ પાસેથી પોલીસે ચાઈનીઝ દોરીની 28 ફીરકી સાથે બે શખ્સોને પકડી પાડ્યા હતા. ઉતરાયણ નજીક આવતા પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નું વેચાણ ન થાય તે માટે ખાસ ડ્રાઇવ શરૂ કરી છે. ત્યારે પાટણ શહેરમાંથી પોલીસે વધુ બે શખ્સોને ચાઈનીઝ દોરીની ફીરકીઓ સાથે પકડી પાડ્યા હતા. જેમાં પાટણ શહેરમાં એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વખતે પોલીસને બાતમી મળી હતી કે ગાંધી બાગમાં કોઈ શખ્સ ચાઈનીઝ દોરીનું વેચાણ કરે છે તે બાતમી આધારે પોલીસે તપાસ કરતા રૂ 5400 ની 18 ફીરકીઓ સાથે અઘારનાં રાહુલ અરવિંદભાઈ લુહાર ને પકડી પડ્યો હતો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જ્યારે પાટણ શહેરમાં આદર્શ હાઇસ્કૂલ રોડ પર બગલી ખાટ પાસેથી પોલીસે ચાઈનીઝ દોરીની રૂ. 2500ની 10 ફીરકી સાથે રાયકા ભાઈ પટણીને પકડી પાડ્યો હતો. આ અંગે પાટણ શહેર પોલીસ મથકે કાર્યવાહી કરાઈ હતી.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 5:51 am

પૂર્વ પ્રમુખ‎ હસમુખ સક્સેના સમર્થકો રોષે‎ ‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎ભરાયા:પાટણ કોંગ્રેસમાં એસસી પ્રમુખની વરણી મુદ્દે કાર્યાલયને તાળાબંધી

​પાટણ જિલ્લા કોંગ્રેસમાં અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના પ્રમુખની વરણીને લઈને લાંબા સમયથી ઉકળતો ચરૂ હવે બહાર આવ્યો છે. એસસી ડિપાર્ટમેન્ટના નવીન પ્રમુખ નિમણૂંક થતાં જ પૂર્વ પ્રમુખના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અને કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરવામાં આવી હતી. પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે જયાબેન શાહની નિમણૂક કરવામાં આવતા પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેના સમર્થકો રોષે ભરાયા હતા. સોમવારે કાર્યકરોએ પાટણ સ્થિત કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી દીધી હતી અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયા તથા વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિવાદ હવે સ્થાનિક સ્તરેથી વધીને પ્રદેશ કક્ષાએ પહોંચ્યો છે. હસમુખ સક્સેનાએ આક્ષેપ કર્યો છે કે જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા પાટણ પર પોતાનો કબજો જમાવવા માંગે છે અને પાયાના કાર્યકરોની અવગણના થઈ રહી છે. આગામી 7 તારીખે પ્રદેશ નેતા અમિત ચાવડા સાથે બેઠક યોજાનાર છે. જો આ બેઠકમાં હસમુખ સક્સેનાને રિપીટ કરવાનો નિર્ણય નહીં લેવાય, તો પાટણ જિલ્લાના અંદાજે 2 હજાર જેટલા એસસી આગેવાનો પ્રદેશ કાર્યાલય ખાતે જઈને સામૂહિક રાજીનામા સોંપશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ફૂટેલી તોપો ઈશારે નિમણૂંકો કરાય છે : ધારાસભ્ય આ સમગ્ર ઘટનાક્રમ મામલે પાટણ ​ધારાસભ્ય કિરીટ પટેલે શિસ્તની મર્યાદા ઓળંગીને પક્ષના જ હોદ્દેદારો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે તેવી ફૂટેલી તોપો અને હિતેન્દ્ર પીઠડિયા જેવા નેતાઓના ઈશારે, ચૂંટાયેલા પ્રતિનિધિઓની સેન્સ લીધા વગર આડેધડ નિમણૂંકો કરવામાં આવી છે. જો આવા નેતાઓ પોતાની મનમાની બંધ નહીં કરે તો આગામી સમયમાં કાર્યકરો કાર્યાલયમાં આંદોલન કરશે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 5:51 am

અકસ્માત સર્જાયો:હારિજ -પાટણ રોડ પર ડમ્પરને ઓવરટેક કરવા જતાં કાર અથડાઈ, ચાલકનો બચાવ

હારિજ-પાટણ હાઇવે પર આવેલા બોરતવાડા નજીકના વળાંકમાં પાટણ તરફ જઈ રહેલા ડમ્પરને કાર ચાલકે ઓવરટેક કરવા જતા ડમ્પરનો આગળના ભાગ કારને ધડાકાભેર અથડાતા કાર ફંગોળાઈ હતી. પણ કાર ચાલકનો ચમત્કારિક આબાદ બચાવ થયો હતો. સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સામે દુકાનદારના જણાવ્યા મુજબ ડમ્પર ચાલકનો વાંક નહીં હોઈ કાર ચાલકે ડમ્પર ચાલકને સ્વેચ્છાએ જવા દીધો હતો કારણે આગળના ભાગે નુક્સાન થયું હતું.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 5:50 am

ક્રિકેટ ટૂર્નામેન્ટનો સમાપન કાર્યક્રમ યોજાયો:હારિજમાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું સમાપન

હારિજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટનો રવિવારે સમાપન કાર્યક્રમ યોજાયો હતો. શૈક્ષણિક કાર્યની સાથે શિક્ષકોમાં ખેલદિલી અને એકતા વધે તેવા હેતુથી યોજાયેલા આ આયોજનમાં ફાઈનલ મેચ બાદ વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા સંઘના પ્રમુખ જીતુભાઈ પટેલે રમતગમતનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમમાં જગદીશભાઈ પટેલ, તાલુકા સંઘના પ્રમુખ ચિરાગભાઈ, જતીનભાઈ તેમજ બળદેવભાઈ દેસાઈ અને નશાભાઈ સહિતના મહાનુભાવો અને હોદ્દેદારોએ પ્રેરક હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થતા શિક્ષક આલમમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 5:49 am

એડવાન્સ કુકિંગ સેમિનાર યોજાયો:પાટણ ફતેહસિંહરાવ પુસ્તકાલય દ્વારા કુકિંગ સેમિનારમાં 55 બહેનોને તાલીમ

​પાટણની શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા ગંગાબા રોજગાર કેન્દ્ર દ્વારા ચાર દિવસીય એડવાન્સ કુકિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કેતનભાઈ અમીનના સૌજન્યથી યમુનાવાડી ખાતે યોજાયેલા આ સેમિનારમાં વિસનગરના માસ્ટર શેફ ગાયત્રીબેન ત્રિવેદીએ 55 બહેનોને વિવિધ પ્રકારની કેક, બિસ્કીટ, ચોકલેટ્સ અને આઈસ્ક્રીમ જેવી આઈટમ્સ શુદ્ધ અને સાત્વિક રીતે બનાવવાની પદ્ધતિસર તાલીમ આપી હતી. સંસ્થાના પ્રમુખ ડો. શૈલેષ સોમપુરાએ બહેનોને આર્થિક રીતે સક્ષમ બનવા આહવાન કર્યું હતું. મુખ્ય મહેમાન નિમિષાબેન પરીખે જણાવ્યું હતું કે બહેનો આત્મનિર્ભર બને તેની સાથે દરરોજ 10 ટકા સમય વાંચન પાછળ ગાળવો જોઈએ. સેમિનારના અંતે તાલીમાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા પુસ્તકાલયની મહિલા ટીમ અને વિવિધ અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે મહાસુખભાઈ મોદી, રાજેશભાઈ પરીખ, કેશવભાઈ ઠકકર, જયશ્રીબેન સોમપુરા, દીપ્તીબેન પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહયા હતા. મહિલા ટીમના પ્રમુખ હર્ષિદાબેન સોની તથા સંયોજક હૈયાબેન ખમારે અને લાઇબ્રેરીની મહિલાટીમે તમામ વ્યવસ્થા સંભાળી હતી.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 5:48 am

પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું:પાટણ શહેરમાં શેત્રુંજય ફ્લેટ પાસે પાઈપલાઈનમાં ભંગાણ

પાટણ શહેરમાં પીવાના પાણીની લાઈનોમાં ભંગાણ સર્જાવાની સમસ્યાઓ વચ્ચે સોમવારે સવારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. શહેરના શેત્રુંજય ફ્લેટની આગળથી પસાર થતી પીવાની મુખ્ય પાઈપલાઈનમાં અચાનક મોટું ભંગાણ સર્જાતા હજારો લિટર પાણીનો વેડફાટ શરૂ થયો હતો. આ અંગેની જાણ થતાં જ પાટણ નગરપાલિકાની વોટર વર્ક્સ ટીમ એક્શન મોડમાં આવી હતી. નગરપાલિકાની ટેકનિકલ ટીમ તાત્કાલિક જીસીબી મશીન અને જરૂરી સાધન સામગ્રી સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. રિપેરિંગની કામગીરી દરમિયાન સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારનો પાણી સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે સ્થાનિક રહીશોને થોડીવાર માટે હાલાકી ભોગવવી પડી હતી. જોકે, પાલિકાના કર્મચારીઓએ સતત બે કલાકની ભારે જહેમત બાદ લીકેજ પાઈપનું સમારકામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું.સમારકામ પૂર્ણ થતા જ તંત્ર દ્વારા ફરીથી પાણીનો સપ્લાય શરૂ કરી દેવામાં આવતા રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. પાલિકાની આ ત્વરિત કામગીરીને પગલે હજારો લિટર પાણીનો બચાવ થયો હતો.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 5:46 am

ભાસ્કર એક્સક્લુસિવ:પાટણ જિલ્લામાં 6 લાખથી વધુ આવક ધરાવતા 6 હજાર રેશનકાર્ડ ધારકોનું સસ્તું અનાજ બંધ, NFSAમાંથી બાકાત

પાટણ જિલ્લામાં વાર્ષિક 6 લાખથી વધુ આવક ધરાવતાં, 25 લાખથી વધુ ટન ઓવર કરતાં અને કંપની કે ભાગીદારી પેઢીમાં ડાયરેક્ટર છે. તેવા આશરે કુલ 6000 જેટલાં રેશનકાર્ડ ધારકોનો પુરવઠા વિભાગે અનાજનો જથ્થો બંધ કરવામાં આવ્યો છે. અને તેમને એનએફએસએનો લાભ બંધ કરી તેમનાં રેશનકાર્ડ નોન એનએફએસએ કરી દેવામાં આવ્યા છે. સસ્તા અનાજ લેતાં લાભાર્થીઓની સરકારે ફરજિયાત કેવાયસી કરાવતાં 6 લાખથી વધુ આવક ધરાવતાં ઈન્કમટેક્સ ભરતાં, 25 લાખનું ટર્નઓવર કરતાં તેમજ ભાગીદારી પેઢી કે કંપનીમાં ડાયરેક્ટર હોય તેવાં સસ્તા અનાજનાં લાભાર્થીઓ હોવાનું સામે આવતાં પાટણ જિલ્લામાં ગ્રાહકોની ચકાસણી કરવા માટે પુરવઠા તંત્ર દ્વારા 1.29 લાખ ગ્રાહકોને નોટિસ આપી હતી. અને નોટિસ બાદ તેમના જવાબ લઈ પાત્રતા માટે તેમની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 5716 રેશનકાર્ડ ધારકોની 6 લાખથી વધુ આવક હોવાથી ઇન્કમટેક્સ રિટર્ન ભર્યા છે. 135 રેશનકાર્ડ ધારકોનું 25 લાખથી વધુ ટન ઓવર હોવાથી તેમણે જી.એસ.ટી ભર્યા છે. જ્યારે 394 રેશનકાર્ડ ધારકો કંપની કે ભાગીદારી પેઢીના ડાયરેક્ટર છે. આમ આશરે કુલ 6000 જેટલાં રેશનકાર્ડ ધારકોની આવક વધુ હોવાથી તેઓ સસ્તા અનાજ માટે પાત્રતા ધરાવતા ન હોવાથી તાલુકા કક્ષાએથી મામલતદાર કચેરીની એનએફએસએ કમિટી દ્વારા તેમના રેશનકાર્ડ એનએફએસએ (નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ) માંથી નોન એન.એફ.એસ.એ કરવામાં આવ્યા છે. લોન લેવા ઇન્કમટેક્સ ભર્યા ને સસ્તા અનાજનો લાભ બંધ ઘણા લાભાર્થીઓ ની આવક ઓછી છે અને તેઓ સામાન્ય પરિવારના લોકો છે.પરંતુ તેમણે લોન લેવા માટે વાર્ષિક 6 લાખથી વધુ આવક બતાવી ઇન્કમટેક્સ રિટર્ન ભર્યા છે.જેના કારણે તેઓ ગરીબ પરિવાર નાં હોવા છતાં તેમનાં રેશનકાર્ડ નોન એન.એફ.એસ.એ થઈ જતાં સસ્તા અનાજનો લાભ બંધ થઈ ગયો છે.તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 5:45 am

કોર્ટ બિઝનેસ ચલાવતી નથી, અરજદાર ગ્રાહક ન ગણાયઃ કન્ઝ્યુમર કોર્ટનો ચુકાદો

કોર્ટની નકલો આપવાનો પ્રોફિટેબલ વ્યવસાય નથી લો ગ્રેજ્યુએટે કોર્ટ રજિસ્ટ્રારે સમયસર દસ્તાવેજ ન આપ્યા તો ગ્રાહક સેવામાં ઉણપ માટે ગ્રાહક કોર્ટમાં કેસ કરી દીધો મુંબઈ - ન્યાય તંત્ર કોઈ કોમર્શિયલ સર્વિસ ચલાવતું નથી એમ કહી ગ્રાહક કોર્ટે સિટી સિવિલ ે એન્ડ સેશન્સ કોર્ટના રજિસ્ટ્રાર સામેની અરજી ફગાવી દીધી છે. અદાલત કાંઈ પૈસા લઈ નકલો આપી નફો રળવાનો ધંધો કરતી નથી એમ ગ્રાહક કોર્ટે કહ્યું હતું. અદાલતનું કામ ન્યાય તોળવાનું છે અને કોર્ટનું તંત્ર તે માટે ન્યાયિક રેકોર્ડસ જાળવે છે.

ગુજરાત સમાચાર 30 Dec 2025 5:30 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:કુલદીપ સેંગરના જામીન પર રોક; ચાંદી એક દિવસમાં 21 હજાર તૂટી, વિદ્યાર્થીઓના આપઘાત રોકવા ગુજરાત સરકારની ગાઈડલાઈન

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર બળાત્કારી કુલદીપ સેંગરના જામીન પર રોક લગાવવાના હતા. બીજા મોટા સમાચાર બાંગ્લાદેશમાં હિંસાના હતા. હિન્દુ પરિવારોના પાંચ ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM નરેન્દ્ર મોદી નાણાકીય વર્ષ 2026-27ના બજેટને લઈ અર્થશાસ્ત્રીઓ સાથે મુલાકાત કરશે. 2. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસીય પશ્ચિમ બંગાળના પ્રવાસે જશે. કાલના મોટા સમાચારો 1. ઉન્નાવ રેપ કેસમાં અડવાણીના ચુકાદાનો હવાલો કેમ?:'લોક સેવક'ની પરિભાષા પર સુપ્રીમ કોર્ટમાં ચર્ચા છેડાઈ; CJIએ કહ્યું- જજથી પણ ભૂલ થઈ શકે છે ઉન્નાવ બળાત્કાર કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને મળેલા જામીન પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. કોર્ટે સેંગરને નોટિસ ફટકારીને જવાબ માગ્યો છે. આ કેસની સુનાવણી ચાર અઠવાડિયા પછી થશે. દિલ્હી હાઈકોર્ટે સેંગરને 23 ડિસેમ્બરે જામીન આપ્યા હતા. નોંધપાત્ર રીતે, સીબીઆઈએ તેના પડકારમાં લાલકૃષ્ણ અડવાણી વિરુદ્ધ સીબીઆઈમાં સુપ્રીમ કોર્ટના 1997ના નિર્ણયનો ઉલ્લેખ કર્યો છે. આનાથી એ સવાલ સામે આવ્યો છે કે શું ધારાસભ્યને પોક્સો એક્ટ હેઠળ 'લોક સેવક' ગણી શકાય. વાંચો સંપૂર્ણ સમાચાર 2. અરવલ્લી કેસ: SCએ પોતાના જ આદેશ પર રોક લગાવી:21 જાન્યુઆરી સુધી ખાણકામ બંધ રહેશે, રાજસ્થાન, ગુજરાત સહિત 4 રાજ્યો પાસેથી જવાબ માંગ્યો અરવલ્લી પર્વતમાળાને લગતા વિવાદ વચ્ચે, સુપ્રીમ કોર્ટે પોતાના જ આદેશ પર સ્ટે આપ્યો છે. આગામી સુનાવણી 21 જાન્યુઆરી, 2026ના રોજ થશે. ત્યાં સુધી ખાણકામ પર પ્રતિબંધ રહેશે. કોર્ટે એક્સપર્ટ્સ કમિટી દ્વારા તપાસનો આદેશ આપ્યો છે.આ માટે એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટી હાલની એક્સપર્ટ્સ કમિટીના અહેવાલનું વિશ્લેષણ કરશે અને પછી સંબંધિત મુદ્દાઓ પર કોર્ટને ભલામણ કરશે. કોર્ટે કેન્દ્ર અને ચાર અરવલ્લી રાજ્યો (રાજસ્થાન, ગુજરાત, દિલ્હી અને હરિયાણા)ને પણ નોટિસ ફટકારી છે જેમાં આ મુદ્દા પરના તેના સુઓ મોટો કેસમાં તેમનો જવાબ માંગવામાં આવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. બાંગ્લાદેશમાં હિંદુઓને જીવતા સળગાવવાનો પ્રયાસ:દરવાજા બહારથી બંધ કરી 5 ઘરોમાં આગ લગાવી, માણસો બચ્યા પણ પાલતુ પ્રાણી બળ્યાં; 6 મહિનામાં 71 હુમલા બાંગ્લાદેશમાં હિંદુ પરિવારોના પાંચ ઘરોમાં આગ લગાવવાની ઘટના સામે આવી છે. આ ઘટના શનિવાર, 27 ડિસેમ્બરના રોજ પિરોજપુર જિલ્લાના દમ્રિતાલા ગામની હોવાનું કહેવાય છે. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, આગ લાગી ત્યારે તેઓ ઘરની અંદર ફસાયેલા હતા કારણ કે દરવાજા બહારથી બંધ હતા. કુલ આઠ લોકો ટીન અને વાંસની વાડ કાપીને બહાર નીકળવામાં સફળ રહ્યા. પરંતુ તેમના ઘર, સામાન અને પાલતુ પ્રાણીઓ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા. વાંચો સંપૂર્ણ સમાચાર 4. આંખના પલકારે ચાંદીનો ભાવ ગગડ્યો:સવારે ઓલ ટાઈમ હાઈ હતો ને પછી અચાનક 21 હજાર ભાવ તૂટ્યો, વર્ષના છેલ્લા દિવસોમાં સોનાનો ભાવ વધીને ₹1.38 લાખ થયો સોના-ચાંદીના ભાવ 29 ડિસેમ્બરે સતત પાંચમા કારોબારી દિવસે ઓલટાઇમ હાઈ પર છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ સોનાની કિંમત 205 રૂપિયા વધીને 1,38,161 પર પહોંચી ગઈ. આ પહેલા તે 1,37,956 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતું. સોમવારે ચાંદીનો ભાવ MCX પર વધીને 2.54 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો. પરંતુ તે પછી અચાનક એક ઝટકો આવ્યો અને ચાંદીની કિંમત 21500 રૂપિયા પ્રતિ કિલો સુધી ઘટી ગઈ, એટલે કે એક ઝટકામાં સોમવારે ચાંદી 21 હજાર રૂપિયાથી વધુ સસ્તી થઈ ગઈ. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ચીને તાઇવાનને પાંચેય બાજુથી ઘેર્યું, સૈન્ય-અભ્યાસ શરૂ:જવાબમાં તાઇવાને કાઉન્ટર કોમ્બેટ એક્સરસાઇઝ શરૂ કરી, ત્રણેય સેનાઓ પણ એલર્ટ પર ચીને તાઈવાનને પાંચેય બાજુથી ઘેરીને મોટા પાયે સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે. ચીનની સેનાએ તાઈવાનના ઉત્તર, ઉત્તર-પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વીય તટ નજીક અલગ-અલગ ઝોન બનાવીને લાઈવ-ફાયર ડ્રિલ શરૂ કરી છે. ચીનની કાર્યવાહીના જવાબમાં તાઈવાને પણ કાઉન્ટર કોમ્બેટ એક્સરસાઈઝ શરૂ કરી દીધી છે. તાઈવાનના રક્ષા મંત્રાલયે કહ્યું છે કે તેની આર્મી, નૌસેના અને વાયુસેનાને એલર્ટ પર રાખવામાં આવી છે. ચીનની હિલચાલ પર કડક નજર રાખવામાં આવી રહી છે. તાઈવાને પોતાની સેનાઓને તહેનાત કરીને કોમ્બેટ-રેડીનેસ ડ્રિલ શરૂ કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાત ભાજપના નવા હોદ્દેદારોની CM, DYCM અને વિશ્વકર્મા સાથે બેઠક:જૂના હોદ્દેદારોને પણ હાજર રખાયા; નવા સંગઠનના માળખાની રચના અને કામગીરીને લઈને આગામી દિવસોમાં ચર્ચા કરાશે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત કરી દેવામાં આવી છે. 29 ડિસેમ્બર સોમવારના રોજ પ્રદેશ ભાજપ સંગઠનના હોદ્દેદારો ગાંધીનગર કમલમ ખાતે પોતાનો હોદ્દો સંભાળ્યો છે. મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારો સવારથી જ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતાં. ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં યોજાયેલી તમામ હોદ્દેદારોની બેઠક પૂર્ણ થઈ છે. ત્યારબાદ CM, DYCM અને વિશ્વકર્મા સાથેની બેઠક પણ પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં જૂના હોદ્દેદારોને પણ રાખવામાં આવ્યાં હતાં. નવા સંગઠનના માળખાની રચના અને કામગીરીને લઈને આગામી દિવસોમાં ચર્ચા કરાશે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. વિદ્યાર્થીઓના આપઘાત રોકવા સરકારની ગાઈડલાઈન:કોલેજ-યુનિવર્સિટીમાં ફરજિયાત મેન્ટલ હેલ્થ પોલિસી, 100 વિદ્યાર્થીદીઠ એક કાઉન્સેલર રાખવા આદેશ ગુજરાતમાં સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર ગંભીર બની છે. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે વ્યાપક અને કડક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત દરેક સંસ્થામાં મેન્ટલ હેલ્થ પોલિસી અમલમાં મૂકવી ફરજિયાત બનાવવામાં આવી છે તેમજ વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ વ્યવસ્થાને મજબૂત કરવાની સૂચના આપવામાં આવી છે. સરકારના નિર્દેશ અનુસાર હવે કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રતિ 100 વિદ્યાર્થીએ ઓછામાં ઓછો એક લાયક કાઉન્સેલર રાખવો પડશે. 100થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી સંસ્થાઓએ બાહ્ય માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે ઔપચારિક રેફરલ વ્યવસ્થા ઉભી કરવી પડશે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : અયોધ્યા-કાશીમાં 2 કિમી લાંબી લાઇન:વૃંદાવનમાં મહાકુંભ જેવી ભીડ, બાંકેબિહારી ન આવવાની અપીલ, ખાટુશ્યામના દર્શન 2 કલાકમાં; ઓમકારેશ્વરના VIP દર્શન બંધ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : અમેરિકા-ઇઝરાયલ અને યુરોપ સાથે યુદ્ધની સ્થિતિમાં ઈરાન:રાષ્ટ્રપતિએ કહ્યું- આ આપણને ઘૂંટણિયે લાવવા ઇચ્છે છે, પરંતુ હવે આપણે પહેલા કરતા વધુ મજબૂત વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ભારતના ભાગેડુને આખરે ભૂલનું ભાન થયું:લલિત મોદીનો વાઇરલ વીડિયો પર યુ-ટર્ન; સરકારની માફી માગી, કહ્યું હતું- હું અને માલ્યા સૌથી મોટા ભાગેડુ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : મેક્સિકોમાં ટ્રેન પાટા પરથી ઊતરી, એન્જિન પલટી ગયું:13નાં મોત, 98 ઘાયલ, 250 મુસાફરો સવાર હતા; મેક્સિકન નેવીની દેખરેખ હેઠળ ચાલતી હતી ટ્રેન વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ભારતીય ઘરોમાં દેશની GDP કરતા પણ વધુ સોનું:34,600 ટન સોનાની કિંમત ₹450 લાખ કરોડ, દેશની GDP ₹370 લાખ કરોડ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ટી-20 મેચમાં 8 વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ બન્યો:ભૂતાનના સ્પિનરે મ્યાનમાર સામે કમાલ કરી, 4 ઓવરમાં માત્ર 7 રન જ આપ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : આજે 2025ની છેલ્લી અગિયારસ:સંતાન સુખ અને સૌભાગ્યની કામનાથી કરવામાં આવે છે પુત્રદા એકાદશીનું વ્રત, આ રીતે કરો લક્ષ્મી-નારાયણની પૂજા વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ MPમાં ખોટી બેઠક પર ચૂંટણી થઈ, ઉમેદવાર જીતી પણ ગયો મધ્યપ્રદેશના ખરગોનમાં મહેશ્વર જિલ્લા પંચાયત પેટાચૂંટણી દરમિયાન એક મોટી ભૂલ થઈ. અધિકારીઓએ વોર્ડ 7ને બદલે વોર્ડ 9માં ચૂંટણી યોજી અને એક ઉમેદવાર બિનહરીફ ચૂંટાયો. ભૂલ શોધી કાઢ્યા પછી, ચૂંટણી રદ કરવામાં આવી અને બે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ફેક્ટરીમાં કામ કરશે માણસો જેવા દેખાતા રોબોટ: ફોલ્ડેબલ iPhoneની પણ આશા; 2026ના ઇકોનોમી-ટેકની મોટી ઇવેન્ટ્સ 2. ચાલુ કોન્સર્ટમાં CEO અને HRની પ્રેમલીલા છતી થઈ: તાલિબાનીઓએ PAK સૈનિકોનાં પેન્ટ લહેરાવ્યાં, મક્કા ગયેલા 45 ભારતીયો બળીને ખાક; ટ્રમ્પ-ઝેલેન્સ્કી બાખડ્યા 3. માયાજાળ-1 : પૈસાના વરસાદની લાલચે યુવતી નગ્ન થઇને તાંત્રિક વિધિમાં બેઠી: વિધિના નામે ભૂવાએ દુષ્કર્મ કર્યું, યુવતીએ બદલો લેવા ધ્રૂજી જવાય એવી સજા કરી 4. બ્રાહ્મણવાદ, RSS સાથે ઘરોબો, જસ્ટિસ સ્વામીનાથન પર કેમ લાગ્યા આરોપ: વકીલે કહ્યું- કોર્ટમાં અપમાન કરે છે, માત્ર એક સમુદાયને મહત્ત્વ 5. મંડે મેગા સ્ટોરી : ચીનની દોસ્તી દેખાડો, અરુણાચલ પર કબજાની તૈયારી: અમેરિકાની ભારતને ચેતવણી, ગ્રાફિક્સમાં જાણો ડ્રેગનની બેવડી ચાલ 6. માતા-પિતા વગરની દીકરીને લગ્ન માટે 2 લાખ રૂપિયા મળે: 21 વર્ષની થાય ત્યાં સુધી દર મહિને 4 હજાર, યોજનાનો લાભ લેવા શું કરશો? 7. આજનું એક્સપ્લેનર:પાવેલના 100 તો મસ્કના 14 બાળકો, અબજોપતિ આપી રહ્યા છે ઢગલાબંધ બાળકોને જન્મ, બેબી બૂમ ટ્રેન્ડ પાછળનું સત્ય જાણો કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: મિથુન-તુલા રાશિના લોકોને ખરીદી ફળશે, કન્યા રાશિના જાતકોની મહેનત સકારાત્મક પરિણામો આપશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 5:00 am

મામલતદારની કાર્યવાહી‎:સરકારી અનાજ મામલે કુકરવાડા APMCના વેપારી સામે ફરિયાદ

10 મહિના પૂર્વે કુકરવાડા એપીએમસીમાં આવેલ ગણેશ ટ્રેડિંગમાંથી ઝડપાયેલ ઘઉં, ચોખા અને ચણા સહિતના શંકાસ્પદ અનાજના જથ્થા પૈકી ઘઉં અને ચોખાના જથ્થાનું સેમ્પલ પાસ થતાં જિલ્લા કલેક્ટરના હુકમને પગલે વિજાપુર મામલતદારે સસ્તા અનાજના જથ્થા મામલે વેપારી સામે ફરિયાદ નોંધાવી છે. વિજાપુર મામલતદારની ટીમ દ્વારા ગત 28 ફેબ્રુઆરીના રોજ કુકરવાડા એપીએમસીમાં આવેલ ગણેશ ટ્રેડિંગ કંપનીમાં તપાસ હાથ ધરી રૂ.55,233ની કિંમતનો ઘઉંનો 2045 કિલો, રૂ.1,96,872નો 5048 કિલો ચોખાનો જથ્થો અને રૂ.15,325નો ચણાનો 613 કિલો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો હતો. અનાજનો આ જથ્થો સરકાર માન્ય સસ્તા અનાજનો છે કે નહીં તે જાણવા માટે તંત્ર દ્વારા ત્રણેયના સેમ્પલ લઇ ગુજરાત અન્ન અને નાગરિક પુરવઠા નિગમ ગાંધીનગર પરીક્ષણ અર્થે મોકલાયા હતા. જેમાં ચણાનું સેમ્પલ સ્ટાન્ડર્ડ મુજબ ફેલ થયું હતું અને ઘઉં અને ચોખાના બંને સેમ્પલ પાસ થતાં જિલ્લા કલેક્ટર શૈલેશ પ્રજાપતિએ તાજેતરમાં ગુજરાત આવશ્ય ચીજવસ્તુઓના વેપારીઓનો હુકમ અને આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમની જોગવાઈઓ હેઠળ ગેરકાયદે પ્રવૃત્તિ આચરી હોવાથી વેપારી સામે ફરિયાદ નોંધવા હુકમ કર્યો હતો. જેને પગલે વિજાપુર મામલતદારે સસ્તા અનાજનો ઘઉં અને ચોખાનો જથ્થો જેની દુકાનમાંથી ઝડપાયો છે તે વેપારી મોદી કલ્પેશ બાબુભાઈ (રહે. શંકરનગર સોસાયટી, કુકરવાડા) સામે વસઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 4:48 am

જિલ્લા પંચાયત હસ્તકની જમીન ટ્રાન્સફર કરવા મંજૂરી:વડનગર તાલુકા પંચાયતના નવા મકાન માટે જમીન ટ્રાન્સફર કરાઇ

સોમવારે જિલ્લા પંચાયતની ચાલુ બોડીની મળેલી છેલ્લી સામાન્ય સભા ગણતરીના સમયમાં જ આટોપાઈ ગઈ હતી છે. આ સભામાં વડનગરમાં નવીન તાલુકા પંચાયતનું મકાન બનાવવા માટે જૂના સર્વે નંબર 4570 પૈકી 2 હેક્ટર જમીન જે જિલ્લા પંચાયત પશુપાલન શાખા વડનગરને ફાળવાઇ હતી તે જમીન હેતુફેર કરી તેમના નામે ટ્રાન્સફર કરવાનો નિર્ણય કરી સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. હવે વડનગર તાલુકા પંચાયતનું નવીન મકાન બનાવવા માટેનો માર્ગ મોકળો થયો છે, હાલ વડનગરમાં તાલુકા પંચાયતનું અસ્તિત્વ છે પરંતુ તે મામલતદાર કચેરીમાં બેસે છે. જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સભામાં 15મા નાણાપંચ અંતર્ગત જિલ્લા કક્ષાના 2020થી 2025ના પૂર્ણ થયેલ કામોની સામે બચત રકમ, રદ કરેલ કામોની રકમ અને વ્યાજનું એમ ટાઇડ અને અનટાઇડનું આયોજનની મંજૂરી પણ અપાઇ હતી. માર્ચ મહિનામાં વર્તમાન બોડીની પાંચ વર્ષની મુદત પૂર્ણ થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 4:47 am

181ની ટીમ દ્વારા સરાહનીય કામગીરી:સાહેબ મારા પતિ અને બાળકને બચાવી લો' પાટણમાં રસ્તા વચ્ચે ગર્ભવતી મહિલાની આજીજી સાંભળીને 181ની ટીમે હુમલાખોર ભાઈઓથી છોડાવી

પાટણની ધરતી પર આજે માનવતા અને ખાખીની સતર્કતાનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. 181 અભયમની ટીમ જ્યારે પોતાના નિત્યક્રમ મુજબ ડેમોસ્ટ્રેશન માટે નીકળી હતી, ત્યારે તેમને અંદાજો પણ નહોતો કે આજે તેઓ એક હસતા-રમતા પરિવારને વિખેરાતા બચાવશે. જેમાં વાત હતી કે મહેસાણામાં રહેતી અને મૂળ પાટણની વતની એક યુવતીએ પાંચ વર્ષ પહેલા પોતાના જ ગામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્નથી નારાજ પરિવારે તેમને જ્ઞાતિ બહાર મૂક્યા હતા. આજે જ્યારે આ 8 માસની ગર્ભવતી મહિલા પોતાના અઢી વર્ષના માસૂમ બાળક અને પતિ સાથે આધારકાર્ડના કામ માટે પાટણ આવી ત્યારે તેના ભાઈઓ અને કુટુંબીજનોએ તેમને જોઈ લીધા હતા. વર્ષોથી ભભૂકતી અદાવતમાં ભાઈઓએ બહેન અને તેના પરિવાર પર હુમલો કરી દીધો હતો. પોતાના પતિ અને બાળકને હુમલાખોરોના ચુંગાલમાં છોડી, ગર્ભવતી મહિલા જીવ બચાવવા ભાગી હતી. બરાબર એ જ સમયે સામેથી 181ની ગાડી પસાર થતી જોઈ મહિલાએ રસ્તા વચ્ચે ઉભા રહી ગાડી રોકી હતી. રડતી આંખે મહિલાએ કરગરતા કહ્યું, સાહેબ, પ્લીઝ મારા પતિ અને બાળકને બચાવી લો, નહીંતર મારા ભાઈઓ તેમને મારી નાખશે. પરિસ્થિતિની ગંભીરતા સમજી 181ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અભયમની ગાડી જોતા જ હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ટીમે જોખમ ખેડીને મહિલાના પતિ અને માસૂમ બાળકને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. મહિલાએ પોલીસ ફરિયાદ કરવાની ના પાડતા, ટીમે જવાબદારીપૂર્વક તેના સાસરી પક્ષના સભ્યોને બોલાવ્યા હતા અને સમગ્ર પરિવારને સહી-સલામત ઘરે રવાના કર્યો હતો. અંતે મહિલાએ ગળગળા થઈને આભાર માનતા કહ્યું કે, જો આજે તમે ના હોત તો મારો પરિવાર નષ્ટ થઈ ગયો હોત. 181ની આ કામગીરીએ સાબિત કર્યું છે કે તે ખરા અર્થમાં મહિલાઓ માટે અભય કવચ છે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 4:46 am

ગટરનું ગંદું પાણી તળાવમાં ભળ્યું:મહેસાણાના પરા તળાવમાં વરસાદી લાઇનમાં ગટરના પાણીનો નિકાલ

મહેસાણામાં પરા તળાવથી જાણિતા સ્વામી વિવેકાનંદ લેકનો પિકનિક પોઇન્ટ તરીકે વિકાસ કરાયા બાદ આ તળાવમાં આવતું ગટરનું પાણી બંધ કરી દેવામાં આ વ્યું હતું અને ચોમાસુ પાણીથી તળાવ ભરાય તે માટે વરસાદી લાઈન ચાલુ રાખેલી છે. જોકે, હૈદરીચોક તરફથી આવતી વરસાદી લાઇન મારફતે ગટરનું ગંદું પાણી તળાવમાં ઠલવાતાં દુર્ગંધ ફેલાવા લાગી છે. તળાવમાં ચોમાસા પછી જંગલી વેલ જામતાં કામદારો મારફતે વેલ કાઢવામાં આવી છે. તળાવમાં હૈદરીચોક સાઇડથી આવતી વરસાદ લાઇનની પાઇપ પણ વેલમાં ઢંકાયેલી હતી એટલે આવતું પાણી દેખાતું નહોતું. હવે વેલ દૂર થતાં પાઇપ દેખાવા લાગી અને સવારે આ વરસાદી લાઇનમાંથી ગટરનું ગંદું પાણી તળાવમાં ઠલવાતું હોઇ સ્થાનિક લોકોએ મનપામાં જાણ કરી હતી. ગટર ચોકઅપ થતાં વરસાદી‎લાઇનમાં જોડાણ કરી દીધાં છે‎શહેરના ફુવારા સર્કલથી હૈદરીચોક તરફના રસ્તામાં કોંગ્રેસ ભવન, મામલતદાર કચેરી, કર્વે સ્કૂલ, ક્રિકેટ ગ્રાઉન્ડ વગેરે આવે છે. વરસાદી અને ગટરલાઇન બંને અંડરગ્રાઉન્ડ નાંખેલી છે. જેમાં પાલિકા શાસન વખતે ગટર લાઇન ચોકઅપ થતાં કેટલાક જોડાણ વરસાદી લાઇનમાં ડાયવર્ટ કરાયા કે કર્યા હોવાની શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી હતી. હવે ગેરકાયદે જોડાણ શોધવા ગટરોની ચેમ્બર ખોલવા રોડ ખોદવા પડશે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 4:43 am

વેધર રિપોર્ટ:દેવકુટીરની લાઇન લીકેજ થતાં 10 દિવસથી પાણી આવતું નથી

મહેસાણાના રાધનપુર રોડ પર સહારા ટાઉનશીપની બાજુમાં આવેલ દેવકુટીર સોસાયટીમાં છેલ્લા દશેક દિવસથી નર્મદાનું પીવાનું પાણી પાઇપ લાઇન લીકેજ હોવાથી પહોંચતું નથી. જેને કારણે 60 પરિવારો પાણીની સમસ્યાથી હેરાન થઇ રહ્યા છે. પાણીની આ લાઇન વારંવાર લીકેજ થતી હોઇ નવી પાઇપલાઇન નાખી કાયમી સમસ્યા હલ કરવા સોમવારે મનપામાં રજૂઆત કરાઇ હતી. રહીશોએ કહ્યું કે, પાણીની લાઇન ઘણી જગ્યાએ તૂટી ગઇ છે. વારંવાર રિપેરિંગ કરાવી છતાં પાઇપલાઇનના સાંધા લીકેજ થવાથી પાણી બહાર રસ્તામાં ફેલાય છે અને ઘરો સુધી પૂરતું પાણી પહોંચતું નથી. હાલ વિસ્તારમાં રોડનું કામ શરૂ થયું છે, ત્યારે સીસી રોડ બને તે પહેલાં પાઇપલાઇન બદલવામાં આવે તો કાયમી સમસ્યા હલ થાય. સોસાયટીના પ્રમુખ દિનેશભાઇએ કહ્યું કે, સહારા ટાઉનશીપથી દેવકુટીર સુધી 200 મીટર અંતરમાં નવી પાઇપલાઇન નાંખવી જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 4:38 am

રાધનપુર ચોકડીથી ગોપીનાળાનો રોડ રાતોરાત રીસરફેસ કરાયો:1લીએ મુખ્યમંત્રીની સંભવિત મુલાકાતને લઇ શહેરમાં રોડ, ડિવાયડરનું રંગરોગાન

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સંભવત: આગામી 1લી જાન્યુઆરીએ મહેસાણા આવી રહ્યા છે. તે સમયે જિલ્લાના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો ટાઉનહોલમાં કાર્યક્રમ યોજાઇ શકે છે તેવી તૈયારી મનપાએ શરૂ કરી છે. આ દરમિયાન, કેટલાક રોડ રાતોરાત નવા બનાવવાની કામગીરી શરૂ કરાઇ છે. શહેરમાં રાધનપુર ચોકડીથી ગોપીનાળા તરફનો ડામર રોડ રવિવારે રાત્રે રીસરફેસ કરી દેવાયો છે. તાલુકા પંચાયત સ્પેસ મેકિંગ સુશોભન તૈયાર થઇ ગયું છે એટલે લોકાર્પણના તબક્કે છે. ત્યાં આ તાલુકા પંચાયત રોડ નવિનીકરણ કામ પણ સોમવારે શરૂ કરાયું હતું. તાલુકા પંચાયત રોડમાં ઝુલેલાલ સર્કલથી હૈદરીચોક સુધી રોડ વચ્ચેના ડિવાયડરની ગ્રીલને રંગરોગાન શરૂ કરાયું છે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 4:37 am

ભાસ્કર એક્સક્લુસિવ:બીએલઓ હવે નો મેપિંગ મતદારોને નોટિસ આપી તેની પહોંચમાં સહી લેવા ઘરે ઘરે ફરશે

ખાસ મતદાર યાદી સુધારણામાં નો મેપિંગમાં નોટિસ પહેલાં બે દિવસ બુથ પર બીએલઓએ મતદારોનો સંપર્ક કરીને તેમના ડોક્યુમેન્ટ મેળવ્યા અને હવે આ મતદારોની જનરેટ થયેલી નોટિસો તેમને ઘરે ઘરે બજાવવા જવું પડશે. એક સાથે કરવાની કામગીરી નોટિસના વિલંબના લીધે બીએલઓનું કામ ડબલ થઇ ગયું છે. હાલ જિલ્લામાં નો મેપિંગ 70,663 મતદારો પૈકી સોમવાર સાંજ સુધીમાં 43,666ની નોટિસ જનરેટ થઇ છે અને 26,997 બાકી છે. આગામી બે દિવસમાં બીએલઓએ નો મેપિંગ મતદારોને નોટિસ આપ્યા બાદ તે મળ્યા અંગેની પહોંચમાં સહી લેવી પડશે. જિલ્લા ચૂંટણી તંત્રના સૂત્રોએ કહ્યું કે, નો મેપિંગ મતદારને નોટિસ આપતી વખતે તે ડોક્યુમેન્ટ બીએલઓને આપી દેશે કે આપેલ છે તે ડોક્યુમેન્ટ તેમના ચૂંટણી અધિકારી સુધી જશે અને ચકાસણી કરીને જેતે નો મેપિંગ મતદારની જરૂર હશે તેમને જ નોટિસની સૂચિત તારીખે ખરાઈ માટે બોલાવવામાં આવશે. નો મેપિંગ મતદારોની નોટિસ સ્લોટ તારીખ સાથે જનરેટ થઇ છે. જેમાં મતદારનું નામ, ચૂંટણી ઓળખકાર્ડ નંબર, વિધાનસભા, ભાગ નંબર, ક્રમ નંબર અને સરનામુ છે. આગામી બે દિવસમાં બીએલઓને આ નોટિસો વિતરણ શરૂ કરાશે, જે નો મેપિંગ મતદારોને બજાવશે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 4:31 am

મોટી માલવણમાં એએનસી કંપનીનો વિવાદ‎:ઈકો સેન્સેટિવ ઝોનમાં વીજ પોલ ઉભા કરતાં સોલાર પ્લાન્ટને નોટિસ

ધ્રાંગધ્રાના મોટી માલવણ ગામ પાસે ઘુડખર અભ્યારણ ફોરેસ્ટ પાસે સરકારના નિયમોને નેવે મુકી સોલાર પ્લાન્ટ ઉભો કરવામાં આવેલી મંજૂરી વગર પાવર ચાલુ કર્યો હતો. તે સિવાય સરકારી ખરાબા અને ઘુડખર અભ્યારણ ફોરેસ્ટની જમીનમાં વીજપોલ ઉભા કરેલા, ગેરકાયદે માટીનું ખનન, સ્કૂલ નજીક હેવી વીજ લાઈન શરૂ કરવાની, પાણી વહેણ બંધ કરવા, ઈકો સેન્સેટિવ ઝોનમાં બાંધકામ સહિતની ફરિયાદો હતી. ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર દ્વારા અગાઉ મોટી માલવણ સોલાર પ્લાન્ટને ઈકો સેન્સેટિવ ઝોનમાં બાંધકામ, પાણીના વેણ બંધ કરવા બાબત અને સરકારી ખરાબાની જમીનમાં વીજપોલ ઉભા કર્યાની નોટિસ આપવામાં આવી હતી. જેની મુદત 27 ડિસેમ્બરના રોજ સુધી હતી. ત્યારે કંપની દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે તંત્ર દ્વારા કંપની સામે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે તે આગામી દિવસોમાં બહાર આવશે. આમ મોટી માલવણ સોલાર પ્લાન્ટ સામે દિનપ્રતિદિન વિવાદ સાથે લોકોમાં રોષ વધી રહ્યો છે. આ અંગે ડેપ્યુટી કલેક્ટર હર્ષદીપ આચાર્યએ જણાવ્યું કે કંપની સામે અનેક ફરિયાદ આવતા તપાસ કરી નોટિસ આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 4:25 am

ગેરકાયદે ધમધમતી હોટલો સામે તંત્રની કાર્યવાહી‎:સાયલા અને વખતપરની સરકારી જમીનમાં ગેરકાયદે હોટલો પર બુલડોઝર ફેરવાયું

સાયલા પંથકમાં નેશનલ હાઈવે 47 પર સરકારી જમીન દબાવીને બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલા ગેરકાયદે બાંધકામો સામે તંત્રએ લાલ આંખ કરી છે. જિલ્લા પોલીસ વડાની સૂચના અને મામલતદારની આગેવાનીમાં સર્વે નંબર 396અને 152 પર આવેલી હોટલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. સાયલા તાલુકાના અનેક વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો જોવા મળે છે. ત્યારે નેશનલ હાઇવે 47 ઉપર અનેક ગેરકાયદે હોટલ રેસ્ટોરન્ટ અને કેબીનો બિલાડીની ટોપની જેમ ઉભરી રહી છે. સાયલા મામલતદાર ચૌધરી આર.એમ. અને સર્કલ ધર્મેન્દ્રસિંહ સહિતની ટીમે સાયલાના વખતપર ગામના સર્વે નંબર 396 તથા 152ની સરકારી જમીનમાં ખડકાયેલ જય માતાજી તેમજ જય ગોપાલ નામ ધરાવતી હોટલો ઉપર બુલડોઝર ફેરવ્યું હતું. જ્યારે સાયલાની સીમ જમીનના 20 30 પૈકી સર્વે નંબરમાં ગેરકાયદે ઉભી કરાયેલ ક્રિષ્ના કાઠીયાવાડી હોટલનું દબાણ દૂર કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હોવાની અનેક ફરિયાદો હતી ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી‎હોવાની અનેક ફરિયાદો હતી‎આ બાબતે ધર્મેન્દ્રસિંહના જણાવ્યા મુજબ ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હોવાની ફરિયાદને અનુસંધાને સરકારી જમીનમાં ગેરકાયદેસર ઉભી કરાયેલા દબાણને દૂર કરવા માટે પોલીસના સહકાર સાથે મામલતદારની સંયુક્ત ટીમે ગેરકાયદેસર પાકા બાંધકામવાળા દબાણો દૂર કર્યા છે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 4:22 am

ED દ્વારા કલેક્ટર કચેરી ખાતે રેડ:કલેક્ટર કચેરીમાં જમીન એનએ થયા બાદ હેતુફેર‎કરવામાં પણ પ્રતિવારે 1 હજારના ભાવ વસૂલાતા‎

સુરેન્દ્રનગર જમીન NA પ્રકરણમાં ઇડીના દરોડા બાદ એક પછી એક ઘટસ્ફોટ થઇ રહ્યાં છે. જમીન એનએ કરવાની સાથે હેતુફેર કરવા માટે પણ 400 વારના પ્લાટના રૂ.4 લાખ અલગ-અલગ ટેબલ ઉપર આપવા પડતા હતા. નિયમ મુજબ એનએ થયેલો પ્લોટમાં બાંધકામ મુજબ જમીન માલિકે હેતુફેર કરાવવું પડે છે. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં જમીન NA કરવાના સુવ્યવસ્થિત કૌભાંડમાં ખાયકીનો ખેલ EDએ ઉઘાડો પાડી દીધો છે. ત્યારે હવે કલેકટર કચેરીમાં NA બાદ જમીન હેતુફેર કરવા માટે પ્રતિ વારે 1 હજાર એટલે 400 વારના પ્લોટના રૂ.4 લાખ ઉઘરાવાતાં હોવાની વિગત સામે આવી છે. EDની રેડ બાદ કલેકટર કચેરીમાં ખાસ કરીને રેવન્યુ વિભાગની ફાઇલો આગળ ચાલતી બંધ થઇ ગઇ છે. રાજ્યમાં ક્યાંય હેતુ ફેરનો નિયમ નથી‎2017માં સુડાનો નવો ડીપી બન્યો ત્યારે નવા નિયમો આવ્યા જેમાં 9 મીટર કે તેથી મોટો રોડ હોય તો કોમર્શીયલ બાંધકામની મંજૂરી મળે.તે મુજબ સુડાએ 2022 થી લઇને 2024 સુધી પ્લાન પણ મંજુર કર્યા ત્યાર બાદ હેતુફેરનો નિયમ અમલી બનાવ્યો છે.જે ગુજરાતમાં કોઇ જગ્યાએ નથી. ગાંધીનગર સુધી રજૂઆતો કરી છે. > કે.સી.શાહ (બિલ્ડર) જમીન માપણી થઇ લઇ છેક સુધી ચેનલ ચાલતી હતી જમીન માપણી થઇ લઇ છેક‎સુધી ચેનલ ચાલતી હતી‎જમીન NA થયા બાદ હેતુફેર કરવા પહેલાં મનપામાં પ્લાન મુકવો પડે છે. ત્યારે સિટી સર્વે, ત્યાંથી ફાઇલ પ્રાંતમાં આવે છે. જે બાદ આગળ કાગળ માર્ગ-મકાન વિભાગમાં જાય છે. જે પછી મામલતદાર, પ્રાંત અધિકારી, ચીટનીશ, અધિક કલેક્ટર અને પછી કલેક્ટર પાસે ફાઇલ પહોંચે છે. આમ જેમજેમ ફાઇલ આગળ વધતી તેમ મીટર ચઢતું હતું.આ સમગ્ર કૌભાંડમાં જમીન માપણીમાં ફરજ બજાવી ચૂકેલ મહિલા અધિકારી પણ આ સમગ્ર ઘટનામાં સંડોવણી થયા હોવાનો આરોપ લગાવાઇ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 4:22 am

સુરેન્દ્રનગરમાં માર્શલ આર્ટ્સનો દબદબો:ઝાલાવાડની વિવિધ 35 શાળાના 380 વિદ્યાર્થીઓ વચ્ચે જામ્યો કરાટેનો જંગ

માર્શલ આર્ટ્સના ક્ષેત્રે સુરેન્દ્રનગર જિલ્લાના તેજસ્વી તારલાઓને મંચ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે '13મી જિલ્લા વાડો-કાઈ કરાટે ચેમ્પિયનશિપ 2025'નું આયોજન કરાયુ હતું. આ સ્પર્ધાનું સફળ આયોજન ગુજરાત વાડો-કાઈના મેનેજિંગ ડાયરેક્ટર અને માર્શલ આર્ટ કરાટે એકેડેમી-સુર ેન્દ્રનગરના પ્રેસિડેન્ટ સેન્સેય દીપક ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપમાં સુરેન્દ્રનગર જિલ્લાની 35થી વધુ શાળાઓના 380 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ખેલાડીઓએ 'કુમિતે' (ફાઈટ) ઈવેન્ટની અલગ-અલગ કેટેગરીમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. સ્પર્ધાને પારદર્શી અને સફળ બનાવવા માટે 25 ઓફિશિયલ જજ અને રેફરીઓએ સેવાઓ આપી હતી. કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ, પ્રાંત યુવા વિકાસ અધિકારી પ્રકાશસિંહ ગોહિલ અને જિલ્લા વિકાસ પ્રબંધક સંજયભાઇ વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ગુજરાત વાડો-કાઈ સ્ટેટ બોડીમાંથી જનરલ સેક્રેટરી સેન્સેય મયુરકુમાર ચૌહાણ અને ટેકનિકલ ડાયરેક્ટર સેન્સેય સચિન ચૌહાણે ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું. સ્પર્ધાના અંતે વિજેતા થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. વિજેતા ખેલાડીઓ હવે આગામી વાડો-કાઈ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ કરાટે ચેમ્પિય શિપ'માં સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. માનસિક વિકાસ માટે રમતો મહત્વનીમહાનુભાવોએ બાળકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં શારીરિક અને માનસિક વિકાસ માટે રમતગમતનું જીવનમાં ખૂબ જ મહત્વ છે.તેથી આવી હરિફાઈઓમાં ભાગ લેવો જોઈએ

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 4:14 am

વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત:વ્યારા એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીનું અચાનક મોત

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મોજે ઈન્દુગામ સ્થિત એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલના હોસ્ટેલમાં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થિનીનું અચાનક મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાને લઈને કાકરાપાર પોલીસ સ્ટેશનમાં અક્સમાત મોતની નોંધ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, જેતવાડી ગામ આંબા ફળીયુ, તા.ધારા જી.તાપીની રહેવાસી સેજલબેન રાકેશભાઈ ગામીત હાલ ઈન્દુગામ એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલમાં રહી ધોરણ 11 માં અભ્યાસ કરતી હતી. તા.29/12/2025ના રોજ સવારે આશરે 08:10 વાગ્યે હોસ્ટેલમાં નાસ્તા માટે વિદ્યાર્થીઓને લાઈનમાં ઊભા રહેવા જણાવવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન સેજલબેન અચાનક કોઈ કારણસર ઢળી પડી હતી. ઘટનાને પગલે સ્કૂલના સ્ટાફ દ્વારા તાત્કાલિક રીતે ખાનગી વાહનમાં સેજલબેનને સરકારી હોસ્પિટલ, ધારા ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તપાસ બાદ સવારે 08:25 વાગ્યે તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં ભારે આઘાત ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં કાકરાપાર પોલીસ સ્ટેશનના અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. અક્સમાતી મોત નંબર 17/2025 BNSS કલમ 194 મુજબ નોંધ કરવામાં આવી છે. PSI ડી.ડી.રાવલની હાજરીમાં જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ સહિતની આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. એકલવ્ય સ્કૂલ જેવી સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના અચાનક મોતે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે, ત્યારે તપાસ બાદ સાચી હકીકત બહાર આવે તેવી લોકોની માગ છે.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 4:11 am

દીપડો પાંજરે પૂરાયો:ચાંપાવાડીમાં ફરી એક દીપડો પાંજરે પુરાયો, હજી વિસ્તારમાં દીપડા નજરે પડતા ભય

જિલ્લામાં હાલ શેરડી કાપણીનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. શેરડીના ઊંચા અને ગીચ ખેતરો દીપડાઓ માટે રહેણાંક સમાન બની ગયા હોવાથી કાપણી શરૂ થતાં જ ખેતરો ખુલ્લા પડે છે અને ખોરાકની શોધમાં દીપડાઓ માનવ વસાહત તરફ વળતા જોવા મળી રહ્યા છે. જેના કારણે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા લોકોમાં દીપડો દેખાતા જ સુરક્ષાને લઇ ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામે શેરડી કાપણી દરમિયાન ગામની નજીક દીપડો દેખાતા વન વિભાગ હરકતમાં આવ્યું હતું. વ્યારા વન વિભાગની કચેરી દ્વારા ગામના ભાઠી ફળિયામાં ખેતર તરફ જવાના કાચા રસ્તા પાસે મરઘીના મારણ સાથે પાંજરું મુકવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે ખોરાકની શોધમાં આવેલા અંદાજે 1.5 વર્ષના દીપડાએ મારણ ખાવાનો પ્રયાસ કરતાં પાંજરામાં પુરાઈ ગયો હતો. દીપડો પકડાયા બાદ ગ્રામ પંચાયત દ્વારા જાણ કરવામાં આવતા વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને પાંજરા સહિત દીપડાને પોતાની કસ્ટડીમાં લઇ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 4:09 am

ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ પર કડક નાકાબંધી:તાપી જિલ્લામાં ચેકિંગ, સપ્તાહમાં નશામાં વાહન હંકારતા 332 સામે કાર્યવાહી

નાતાલ અને નવા વર્ષની ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તાપી જિલ્લા પોલીસ વડા જે.એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ટ્રાફિક પી.આઈ. સલીમ શેખ સહિતની ટીમોએ સરહદી વિસ્તારોમાં કિલ્લેબંધી કરી નશાખોરો અને કાયદાનો ભંગ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા માર્ગો પર પોલીસે ખાસ નજર રાખી છે. બાજીપુરા, સોનગઢ, પાઠકવાડી, કણજા અને બેડકી નાકા જેવી મહત્વની ચેકપોસ્ટો પર ટુ-વ્હીલરથી લઈને ભારે વાહનોનું વિગતવાર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ડ્રાઈવિંગ લાયસન્સ, વાહનના દસ્તાવેજોની સાથે નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા પોલીસે રાત-દિવસ એક કર્યા છે. કયા પોલીસ સ્ટેશનમાં કેટલા કેસ?

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 4:07 am

ફરિયાદ:યુનિ.માં રમતગમત માટે ગ્રાઉન્ડ વિવાદ : NSUI દ્વારા રજૂઆત

MKBUમાં વિદ્યાર્થી ઓના શારીરિક વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાતા ટેબલ ટેનિસ, વોલીબોલ અને બેડમિન્ટનના ગ્રાઉન્ડમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને યોગ્ય સમય ફાળવવામાં ન આવતો હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. આ મુદ્દે NSUI દ્વારા યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. આ ત્રણેય ગ્રાઉન્ડમાં મોટા પ્રમાણમાં યુનિવર્સિટી બહારના લોકો આવીને નિયમિત રીતે રમતા હોવાને કારણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રમવા માટે સમય અને જગ્યા મળતી નથી. ખાસ કરીને વોલીબોલ ગ્રાઉન્ડમાં બહાર થી આવતા નોકરિયાત લોકો રમવા આવતા હોવાથી વિદ્યાર્થીઓ માટે રમવા ક્યાં જવું? એ મોટો પ્રશ્ન ઉભો થયો છે. શૈક્ષણિક દબાણ વચ્ચે પોતાની શારીરિક તંદુરસ્તી જાળવવા રમતગમત અત્યંત જરૂરી હોવા છતાં યોગ્ય સુવિધા ન મળતા વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે. વિદ્યાર્થીઓના આ પ્રશ્ન બાબતને ધ્યાનમાં રાખીને NSUIના પ્રદેશ મહામંત્રી અભિજીતસિંહ ચુડાસમાએ કુલપતિને રજૂઆત કરી હતી અને માંગ કરી હતી કે યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર પ્રથમ અધિકાર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આપવામાં આવે, સ્પષ્ટ સમયપત્રક નક્કી કરવામાં આવે અને બહારના લોકો માટે નિયમો કડક કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને તેમની રમતગમતની પ્રવૃત્તિઓ માટે યોગ્ય અને ન્યાયસંગત તક મળી શકે. વિદ્યાર્થી માટે કોલેજ પાસે લેખિત રજૂઆત મંગાવાય છેયુનિવર્સિટીના ટેબલ ટેનિસ, વોલીબોલ અને બેડમિન્ટનના ત્રણેય ગ્રાઉન્ડ કદમાં પ્રમાણમાં મર્યાદિત અને નાના હોવાથી દરેક સંલગ્ન કોલેજ પાસેથી લેખિત રજૂઆત લઈને વિદ્યાર્થીઓ માટે સમય નક્કી કરવામાં આવે છે, જેથી એક સાથે વધુ વિદ્યાર્થીઓ ભેગા ન થાય. બેડમિન્ટન અને ટેબલ ટેનિસમાં બહારના એસોસિયેશન દ્વારા વ્યવસ્થા ડોનેટ કરવામાં આવી હોવાથી તેમને દિવસ દરમિયાન એક કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. ઉપરાંત, છોકરા અને છોકરીઓને અલગ-અલગ સમય આપવામાં આવે છે. > દિલીપસિંહ ગોહિલ, નિયામક, શારીરિક શિક્ષણ વિભાગ, MKBU

દિવ્ય ભાસ્કર 30 Dec 2025 4:00 am