SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
... ...View News by News Source

મહિલાએ 20 સેકન્ડમાં 13 ફડાકા મારી ચપ્પલવાળી કરી, VIDEO:વરાછામાં મોબાઈલ ઝૂંટવી ભાગતા સ્નેચરને લોકોએ દબોચ્યો, જાહેરમાં મેથીપાક ચખાડ્યો

સુરતના વરાછા વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગની ઘટનામાં લોકોની સતર્કતા અને મહિલાના આક્રોશનો મામલો સામે આવ્યો છે. વરાછાના માતાવાડી નજીક આવેલી રંગ અવધૂત સોસાયટીના માર્કેટ વિસ્તારમાં એક મોબાઈલ સ્નેચરને લોકોએ રંગેહાથ ઝડપી પાડીને સબક શીખવ્યો હતો. જે મહિલાના હાથમાંથી મોબાઇલ ઝૂંટવીને ભાગી રહ્યો હતો. તે મહિલાએ મોબાઇલ સ્નેચરને 13 તમાચા અને ચાર ચપ્પલ મારી હતી. ત્યારબાદ મોબાઈલ સ્નેચરને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો. મહિલાના હાથમાંથી મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસપ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના વરાછાના માતાવાડી નજીક આવેલી રંગ અવધૂત સોસાયટીના માર્કેટ વિસ્તારમાં બની હતી, જ્યાં એક શખ્સ એક મહિલાના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, આસપાસના લોકો તરત જ સતર્ક બની ગયા હતા અને સમયસૂચકતા વાપરીને આ સ્નેચરને પકડી પાડ્યો હતો. મહિલાએ જાહેરમાં જ સ્નેચરને સબક શીખવ્યોમોબાઈલ સ્નેચર પકડાઈ જતાં ગુસ્સે ભરાયેલા લોકોએ તેને 'મેથીપાક' આપવાનું શરૂ કર્યું હતું. જોકે, સૌથી વધુ આક્રોશ તે મહિલામાં જોવા મળ્યો હતો, જેની પાસેથી મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુસ્સામાં લાલચોળ થયેલી આ મહિલાએ જાહેરમાં જ સ્નેચરને સબક શીખવવાનો નિર્ણય લીધો હતો. 13 તમાચા માર્યા અને ચાર ચપ્પલ મારીસ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મહિલાએ આ સ્નેચરને એક પછી એક એમ કુલ 13 તમાચા માર્યા હતા. આટલેથી ન અટકતા, મહિલાએ પોતાના પગમાંથી ચપ્પલ કાઢીને પણ ચારથી વધુ ચપ્પલોનો માર સ્નેચરને માર્યો હતો. મહિલાના આ પરાક્રમને જોઈને ત્યાં હાજર લોકોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. પોલીસને સોંપાયો સ્નેચર, વધુ તપાસ શરૂલોકોએ સ્નેચરને પકડ્યા બાદ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જ વરાછા પોલીસની PCR વાન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ગુસ્સે ભરાયેલા લોકોના ટોળા વચ્ચેથી સ્નેચરનો કબજો મેળવ્યો હતો અને તેને વરાછા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. વરાછા પોલીસે આ મોબાઈલ સ્નેચરને પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ વિસ્તારમાં અન્ય કોઈ ઘટનામાં તેની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 9:39 am

સુરતમાં સરાજાહેર મારામારી, પોલીસ પેટ્રોલિંગની પોલ ખુલી:પાનના ગલ્લા પર કાતરના 7-8 ઘા ઝીંકીને યુવક પર હુમલો, સચિનમાં જાહેરમાં પિસ્તોલ બતાવી યુવકને ધમકાવ્યો

સુરતમાં ગુનાખોરીનો ખુલ્લો ચહેરો ફરી એકવાર સામે આવ્યો છે: ડીંડોલીમાં પાનના ગલ્લા પર કાતરથી 7-8 ઘા ઝીંકીને યુવક પર હુમલો કરતો આરોપી અને સચિનમાં જાહેરમાં પિસ્તોલ બતાવી ધમકાવતો યુવક – બંને ઘટનાઓના સનસનીખેજ CCTV અને વીડિયો ફૂટેજ વાયરલ થતાં શહેરની કાયદો-વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. એક તરફ રાત્રે 8:30 વાગ્યે ખુલ્લેઆમ તીક્ષ્ણ હથિયારથી હુમલો અને બીજી તરફ પિસ્તોલ લઈને દાદાગીરી – આ બંને ઘટનાઓએ પોલીસના પેટ્રોલિંગની પોલ ખોલી નાખી છે, જ્યારે સચિનમાં તો ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ પોતે જ પિસ્તોલવાળા આરોપીને પકડીને માર માર્યો હતો. કાતર લઈને સામેના યુવક પર સતત 7 થી 8 વાર હુમલો સુરતમાં અસામાજિક તત્વો કેટલા બેફામ છે તેનો બીજો પુરાવો ડીંડોલીના પેરાયોસા બ્લીસ વિસ્તારમાંથી મળે છે. પાનના ગલ્લા પર લગાવેલા CCTV ફૂટેજમાં 7 ડિસેમ્બરના રોજ રાત્રે 8:30 વાગ્યાની આસપાસ એક ભયાનક દ્રશ્ય કેદ થયું છે. વીડિયોમાં પ્રશાંત નામનો યુવક અચાનક આવે છે અને કાતર લઈને સામેના યુવક પર સતત 7 થી 8 વાર હુમલો કરતો જોવા મળે છે. આ હુમલાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી પરંતુ, જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે આટલો ઘાતક હુમલો એ શહેરની કાયદો-વ્યવસ્થા પર લાલબત્તી સમાન છે. ડીંડોલી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે, પરંતુ ગુનેગારોની હિંમત જોતાં પોલીસનો નિષ્ક્રિય પેટ્રોલિંગ ચર્ચાનો વિષય બન્યું છે. પિસ્તોલ બતાવી ધમકાવતા યુવકને લોકોએ જ મેથીપાક ચખાડ્યોસચિન પોલીસ સ્ટેશનની હદમાં એક યુવકે જાહેરમાં પિસ્તોલ બતાવી લોકોમાં દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો. નજીવી બાબતે ઉશ્કેરાયેલા યુપીના યુવક પવન કુમાર ઉર્ફે ઋષિલાલ પાલએ બેફામ બનીને પોતાની પાસે રહેલી પિસ્તોલ બતાવી લોકોને ડરાવવાનું શરૂ કર્યું હતું. પહેલાં તો લોકો ડરી ગયા, પણ જ્યારે આ યુવકની દાદાગીરી હદ વટાવી ગઈ, ત્યારે વિસ્તારના ચારથી પાંચ યુવાનોએ હિંમત ભેગી કરી. તેમણે જાહેરમાં જ આ આરોપીને પકડી પાડ્યો અને તેને જ્યાં છે ત્યાં જ મેથીપાક ચખાડ્યો. આ વીડિયોમાં લોકોની હિંમત અને આરોપીની લાચારી સ્પષ્ટ દેખાય છે. સચિન પોલીસે ત્યારબાદ આરોપીની ધરપકડ કરી તેની પાસેથી પિસ્તોલ અને ત્રણ જીવતા કાર્તૂસ કબજે કર્યા છે. ખુલ્લેઆમ હથિયારોનો ઉપયોગ કરીને ગુનો આચરતા આરોપીઓનો ડરમુક્ત સ્વભાવ સૂચવે છે કે પોલીસની ગેરહાજરીમાં આ તત્વો સક્રિય થઈ ગયા છે. તાત્કાલિક અસરથી સઘન પેટ્રોલિંગ અને કડક કાર્યવાહી થાય તેવી માંગ સ્થાનિકો દ્વારા કરાઈ છે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 9:36 am

અમદાવાદમાં દંપતીના ડુંગળી-લસણ ખાવા બાબતે છૂટાછેડા:પત્ની માટે અલગ અને પતિ-સાસુ માટે અલગ જમવાનું બનતું; આખરે વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો

અમદાવાદના દંપતી વચ્ચે ડુંગળી અને લસણની બાબતે એવો તીવ્ર મતભેદ થયો કે પતિએ પત્નીના આહાર સંબંધિત પ્રતિબંધોને અસહ્ય જણાવી છૂટાછેડાની અરજી દાખલ કરી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે પતિ-પત્નીના છૂટાછેડાને પડકારતી પત્નીની અપીલ ફગાવી દીધી છે. જમવાને લઈ દંપતી વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યાંઆ કેસની વિગત એવી છે કે, મહિલા સ્વામિનારાયણ સંપ્રદાયની અનુયાયી હતી અને તેથી તે કડકપણે ડુંગળી અને લસણ ખાવાથી દૂર રહેતી હતી, પરંતુ પતિ અને સાસુ ઉપર એવો કોઈ પ્રતિબંધ નહોતો. દંપતીના લગ્ન 2002માં થયા હતા, પરંતુ રસોઈની પસંદગી તેમના દાંપત્ય જીવન માટે આપત્તિરૂપ બની હતી. ધીમે-ધીમે ઘરેલું ઝઘડાઓ વધતા ગયા અને સંબંધોમાં ખટાશ આવી ચૂકી હતી. પત્ની નિયમિત રીતે પ્રાર્થના અને ધાર્મિક વિધિઓમાં ભાગ લેતી અને સંપ્રદાયના નિયમોનું પાલન કરતી હતી. પતિ અને સાસુ પોતાની આહારની પદ્ધતિ બદલવા ઇચ્છતા નહોતા, પરિણામે ઘરમાં અલગ-અલગ રસોઈ કરવાની વ્યવસ્થા થઈ. પત્ની ઘર છોડીને જતી રહેતા પતિએ છૂટાછેડાની અરજી કરીઆ રીતે વિભાજિત રસોડું અંતે દાંપત્ય સંબંધનો અંત લાવનાર બની રહ્યું હતું. પત્ની બાળક સાથે પતિનું ઘર છોડીને જતી રહી હતી. 2013માં પતિએ અમદાવાદની ફેમિલી કોર્ટમા છૂટાછેડા માટે અરજી કરી હતી. તેનો દાવો હતો કે, પત્નીએ તેની સામે ક્રૂરતા આચરીને તેનો પરિત્યાગ કર્યો છે. 8 મે, 2024ના રોજ ફેમિલી કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા હતા અને પતિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. પતિએ ભરણપોષણના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યોબાદમાં બન્ને પક્ષો હાઈકોર્ટ પહોંચ્યા હતા, જ્યાં પત્નીએ છૂટાછેડા સામે અપીલ કરી અને ભરણપોષણની રકમ અમલમાં લાવવાની માગ કરી હતી. જ્યારે પતિએ ભરણપોષણના આદેશને પડકાર્યો હતો. પત્નીના વકીલે હાઈકોર્ટમાં રજૂઆત કરી કે, પતિએ ફેમિલી કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે પત્નીના ધાર્મિક વિશ્વાસોને કારણે ડુંગળી અને લસણ ટાળવાની તેની આદત ઝઘડાનું કારણ બનતી હતી અને તે તેના વલણમાં અડગ રહી હતી. ફેમિલી કોર્ટે પતિના દાવાને સ્વીકાર્યો હતો. પતિએ ભરણપોષણની રકમ કોર્ટની રજિસ્ટ્રીમાં જમા કરાવી દેવા કહ્યુંપતિના વકીલે દલીલ કરી હતી કે, તેના અસીલ અને તેની માતા, પત્ની માટે ડુંગળી-લસણ વિના ભોજન બનાવતા હતા. ડુંગળી અને લસણનું સેવન બંને વચ્ચેના મતભેદનું મુખ્ય કારણ હતું. પતિએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે, તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરવી પડી હતી. હાઈકોર્ટમાં એક સમયે પત્નીએ જણાવ્યું કે, હવે તેને છૂટાછેડા સામે કોઈ વાંધો નથી. પતિએ હાઈકોર્ટમાં જવાબ આપ્યો હતો કે, બાકી ભરણપોષણની રકમ તે કોર્ટની રજિસ્ટ્રીમાં હપ્તાઓમાં જમા કરાવી દેશે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 9:32 am

પાટણની રૂપેણ નદી પર નવા બ્રિજના છેડા જોડવા માંગ:જૂના બ્રિજની જર્જરિત હાલતથી વાહનવ્યવહાર ખોરવાયો, જિલ્લા ભાજપ પ્રમુખે CMને પત્ર લખ્યો

પાટણ જિલ્લા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખી શંખેશ્વર નજીક રૂપેણ નદી પરના નવા બ્રિજના છેડા જોડવાનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા વિનંતી કરી છે. જૂના બ્રિજની જર્જરિત હાલતને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે, જેનાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ પત્ર લખ્યો છે. પત્રમાં 'પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક રૂપેણ નદી ઉપર નવીન બ્રિજના છેડા જોડવાનું કામ તાત્કાલિક કરવા બાબત'નો ઉલ્લેખ છે. પત્રમાં જણાવાયું છે કે શંખેશ્વર નજીક રૂપેણ નદી પરનો જૂનો પુલ જર્જરિત હોવાથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શંખેશ્વર જૈન ધર્મનું આસ્થાનું કેન્દ્ર હોવાથી દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ અને અન્ય મુસાફરોને ભારે તકલીફ પડી રહી છે. આ પુલ ઉત્તર ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો એક મહત્વનો માર્ગ પણ છે. અગાઉ જર્જરિત પુલના ભાગમાં જ નવીન પુલ બનાવવાનું કામ શરૂ થયું હતું, પરંતુ જમીન સંપાદન ન થવાને કારણે તે આગળ વધી શક્યું ન હતું. પ્રમુખે મુખ્યમંત્રીને જમીન સંપાદન માટે તાત્કાલિક કાર્યવાહી કરીને નવીન બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરાવવા વિનંતી કરી છે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 9:16 am

મેટ્રોનું કામ પૂરું થયા પછી પણ રસ્તા પર કચરાના ઢગ:ટ્રાફિક DCPએ એક્શન મોડ ઓન કર્યો, પર્વત પાટિયા-રઘુવીર માર્કેટનો 3 KM રોડ એક અઠવાડિયામાં ખુલ્લો થશે

મેટ્રોના કામ પૂરા થયા પણ શહેરના રસ્તાઓ હજુ વેસ્ટ મટીરીયલથી ભરેલા છે. છેલ્લા એક વર્ષથી લોકો જે ટ્રાફિકની હાલાકી ભોગવી રહ્યા હતા, તે મેટ્રોનું કામ પત્યાના 15 દિવસ પછી પણ દૂર થઈ નહોતી. પર્વત પાટિયાથી રઘુવીર માર્કેટ સુધીનો મુખ્ય માર્ગ મેટ્રોની બિનજરૂરી મશીનરી અને કચરાના ઢગલાને કારણે બ્લોક રહ્યો હતો. શહેરની ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત જનતાની બૂમ હવે છેક પોલીસના કાન સુધી પહોંચી છે. ટ્રાફિક ડીસીપી પન્ના મોમ્યાએ આ મામલે એક્શન મોડમાં આવીને મેટ્રોના અધિકારીઓને કડક સૂચના આપી છે. 15 દિવસ પહેલાથી જ કામગીરી પૂર્ણ છતાં મશીનરી અને બિનજરુરી વસ્તુઓથી રોડ બ્લોકડીસીપીએ તાત્કાલિક મેટ્રો, કોર્પોરેશન, BRTSઅને ટ્રાફિક પોલીસના અધિકારીઓની ટીમ બનાવીને સ્થળ પર જોઈન્ટ વિઝિટનું આયોજન કર્યું હતું. 15 દિવસ પહેલાથી જ કામગીરી પૂર્ણ થયા બાદ પણ 3 KMના બ્લોક રોડ પરથી મશીનરી અને બિન જરૂરી વસ્તુઓ અધિકારીઓ હટાવી રહ્યા નહોતા જેથી મેટ્રોના અધિકારીઓ ને સ્થળ પર બોલાવી ડીસીપી દ્વારા સખત સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક તમામ વસ્તુઓ હટાવવામાં આવે..ડીસીપી પન્ના મોમ્યાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “મેટ્રો દ્વારા જ્યાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, ત્યાં પોતાનું બિનજરૂરી મટીરીયલ મૂકી રાખવામાં આવ્યું છે, જેના કારણે ટ્રાફિકને ગંભીર અડચણ થાય છે. લોકોને રાહત આપવા માટે આ રસ્તાઓને ઝડપથી અને સંપૂર્ણપણે ખુલ્લા કરવાપરવત પાટિયાથી રઘુવીર માર્કેટ સુધીના 3 કિલોમીટરના પેચમાં કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં રોડ બ્લોક હતો. આ તાત્કાલિક હટાવવું પડશે.વિઝિટ દરમિયાન પર્વત પાટિયાથી લઈને સારોલી ગામ ગેટ સુધીના આખા વિસ્તારમાં રસ્તા પર પડેલું તમામ વેસ્ટ મટીરીયલ અને મશીનરી યુદ્ધના ધોરણે દૂર કરવા માટે મેટ્રોના અધિકારીઓને સખત સૂચના આપવામાં આવી છે. ટ્રાફિક પોલીસનો ધ્યેય સ્પષ્ટ છે: લોકોને રાહત આપવા માટે આ રસ્તાઓને ઝડપથી અને સંપૂર્ણપણે ખુલ્લા કરવા. એક વર્ષથી વન-વે બનેલો રોડ હવે એક સપ્તાહમાં ખુલ્લો થશેમેટ્રોના કામને કારણે ટ્રાફિકની હાલાકીની સૌથી વધુ પીડા સારોલી ગામ ગેટથી રઘુવીર માર્કેટ વિસ્તારના લોકોને ભોગવવી પડતી હતી. આ રોડ છેલ્લા એક વર્ષથી માત્ર એક સાઈડ જ ચાલતો હોવાથી ખાસ કરીને સાંજના પીક અવર્સમાં અહીં ભયંકર ટ્રાફિક જામ થતો હતો. હવે ડીસીપી પન્ના મોમ્યાની દરમિયાનગીરી બાદ આ સમસ્યાનો પણ અંત આવશે. મેટ્રોના અધિકારીઓએ ખાતરી આપી છે કે આગામી એક અઠવાડિયામાં આ રોડની બીજી સાઈડ પણ ટ્રાફિક માટે સંપૂર્ણપણે ખુલ્લી મૂકી દેવામાં આવશે. આ નિર્ણયથી ટ્રાફિક બંને તરફ સરળતાથી ચાલી શકશે અને પીક અવર્સની માથાકૂટનો અંત આવશે. શહેરભરના પેચીસ આઈડેન્ટીફાય થશેડીસીપી મોમ્યાએ સ્પષ્ટપણે જણાવી દીધું છે કે આ તો માત્ર શરૂઆત છે. શહેરમાં અન્ય જે પણ વિસ્તારોમાં મેટ્રોની કામગીરી પૂરી થઈ ગઈ છે, તે તમામ પેચીસ અમે આઈડેન્ટીફાય કરીશું. મેટ્રોના અધિકારીઓને સાથે રાખીને જ્યાં જ્યાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, ત્યાંથી રોડ તાત્કાલિક ખુલ્લો કરાવવાની કામગીરી આગામી દિવસોમાં સતત ચાલુ રાખવામાં આવશે. સુરત પોલીસનો આ સખત પગલું ટ્રાફિક સમસ્યાથી પીડાતા નાગરિકોને મોટી રાહત આપનારું સાબિત થશે, અને મેટ્રોના કોન્ટ્રાક્ટરોને સ્પષ્ટ સંદેશ આપે છે કે હવે રોડ બ્લોક કરીને શહેરીજનોને પરેશાન કરાશે તો ચલાવી લેવામાં નહીં આવે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 9:16 am

પાટણ પાલિકાના વિકાસ કામોના ટેન્ડરો ખોલાયા:નવા બિલ્ડીંગ રિપેરિંગ, રોડ-રસ્તા અને ટ્રી ગાર્ડ ખરીદીના કામો થશે

પાટણ નગરપાલિકા ખાતે શહેરના વિવિધ વિકાસ કામો માટેના ટેન્ડરો ખોલવામાં આવ્યા હતા. લાંબા સમયથી અટકેલા આ ટેન્ડરો નગરપાલિકાની એક બેઠકમાં ખોલવામાં આવ્યા હતા. આ અંગે પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન મુકેશભાઈ જે. પટેલ, ઉપપ્રમુખ હિનાબેન શાહ અને બાંધકામ વિભાગના ચેરમેન મહેશભાઈ પટેલે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, વિવિધ ગ્રાન્ટોમાંથી મંજૂર થયેલા કામોને હાથ ધરવામાં આવશે. અગાઉ થયેલી ટેન્ડર પ્રક્રિયા અંતર્ગત કુલ પાંચ ટેન્ડરો આવ્યા હતા, જેમાં બે ઓનલાઈન અને ત્રણ ઓફલાઈન ટેન્ડરોનો સમાવેશ થાય છે. આ તમામ ટેન્ડરો ખોલી દેવામાં આવ્યા છે. હવે આ ટેન્ડરોની વહીવટી અને તાંત્રિક મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઓનલાઈન ટેન્ડરોમાં પાટણ શહેરમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા અને વૃક્ષોના રક્ષણ માટે ટ્રી ગાર્ડની ખરીદી કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પાટણ નગરપાલિકાના નવા બિલ્ડીંગના ઉપરના માળે આવેલા લીકેજ થતા ટોયલેટ બ્લોકનું રિપેરિંગ કામ પણ હાથ ધરવામાં આવશે. ઓફલાઈન ટેન્ડરોમાં પાટણ શહેરના જુદા જુદા છ વિસ્તારોમાં રૂપિયા બે કરોડના ખર્ચે ડામર રોડ બનાવવાનું કામ સામેલ છે. વધુમાં, અન્ય ત્રણ વિસ્તારોમાં રૂપિયા એક કરોડના ખર્ચે ડામર રોડ અને બાકીના વિસ્તારોમાં સી.સી. રોડ તથા બ્લોક પેવિંગ માટે રૂપિયા એક કરોડના કામોના ટેન્ડરો પણ ખોલવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 8:38 am

દાદરાની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ:વિસ્ફોટ સાથે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસની કંપનીઓને પણ ઝપેટમાં લીધી

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા ગામ ખાતે આવેલી લીઝા ઇન્ડસ્ટ્રી (Liza Industry) નામની પ્લાસ્ટિક કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આસપાસની અન્ય કંપનીઓ પણ આગની ઝપેટમાં આવીપ્લાસ્ટિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી આ કંપનીમાં આગ લાગવાના કારણે, પ્લાસ્ટિકની હાજરીને લીધે આગે જોતજોતામાં અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી મોટી બની ગઈ હતી કે કંપનીમાં નાના-મોટા વિસ્ફોટ પણ થયા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આ વિકરાળ આગની જ્વાળાઓએ બાજુમાં આવેલી આસપાસની અન્ય કંપનીઓને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હોવાનું જાણવા મળ્યું છે. પ્લાસ્ટિક પ્રોડક્ટ્સના કારણે આગ વિકરાળ બનીઘટનાની જાણ થતાં જ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમની સાથે અન્ય વિસ્તારોના ફાયર ફાઇટરો પણ આગને કાબૂમાં લેવાના પ્રયત્નોમાં જોડાયા હતા. જોકે, પ્લાસ્ટિક પ્રોડક્ટ્સના કારણે આગ પર કાબૂ મેળવવાનું કાર્ય પડકારજનક બન્યું છે. આસપાસના જોખમી વિસ્તારોને ખાલી કરાવ્યાબીજી તરફ, દાદરા નગર હવેલીની પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે આસપાસના જોખમી વિસ્તારોને ખાલી કરાવ્યા હતા. કોઈ જાનહાનિ ન થાય તે માટે પોલીસે સુરક્ષાના પગલાં લીધા છે અને હાલ આગ કાબૂમાં લેવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 8:36 am

ઓપરેશન મ્યુલ હન્ટ, સાયબર ગુનેગારોના નેટવર્ક તોડવા ડ્રાઈવ:બેંક એસોસિએશન, મેનેજર્સ સાથે સુરેન્દ્રનગરમાં બેઠક યોજાઈ

સુરેન્દ્રનગરમાં 'ઓપરેશન મ્યુલ હન્ટ' અંતર્ગત સાયબર ગુનેગારોના નેટવર્કને તોડી પાડવા માટે બેંક એસોસિએશન અને મેનેજર્સની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS) અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ના માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ.પી. નિકુંજ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લાના L.C.B., S.O.G., ટેકનિકલ સેલ અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા. તેનો મુખ્ય હેતુ સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ધરમૂળથી તોડી પાડવા માટેની વિશેષ ડ્રાઇવ અંગે ચર્ચા કરવાનો હતો. આ ડ્રાઇવ માટે સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૨૦ ટીમો બનાવવામાં આવી છે, જેમાં દરેક પોલીસ સ્ટેશનમાંથી એક ટીમનો સમાવેશ થાય છે. આ ટીમોમાં એક PSI, કોમ્પ્યુટર ઓપરેટર, ડી સ્ટાફ અને રાઇટરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સાયબર પોલીસ સ્ટેશન, LCB અને SOGની પણ અલગ ટીમો કાર્યરત રહેશે. બેંક મેનેજર્સ સાથેની આ બેઠકમાં તેમને ઝડપથી માહિતી પૂરી પાડવા અને ફ્રોડ એકાઉન્ટ્સને ઓળખવા જેવી સૂચનાઓ આપવામાં આવી હતી. આ ડ્રાઇવનો ઉદ્દેશ્ય માત્ર નાણાં ટ્રાન્સફર કરનાર મ્યુલ એકાઉન્ટ ઓપરેટરો સુધી જ નહીં, પરંતુ આ સમગ્ર નેટવર્કના મુખ્ય આકાઓ સુધી પહોંચવાનો છે. આ વિશેષ ડ્રાઇવ આજથી શરૂ થઈને આગામી પાંચ દિવસ સુધી ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 8:32 am

પાલિકા, મામલતદાર તંત્રે 10 લાખની જમીન ખુલ્લી કરાવી‎:વાંકાનેરમાં ગુનેગારોના દબાણ પર બૂલડોઝર ફેરવી દેવાયું

વાંકાનેરમાં પાલિકા તંત્ર તથા મામલતદાર તંત્રએ ગેરકાયદે ખડકેલા દબાણો પર બુલડોઝર ફેરવીને જમીન ખુલ્લી કરાવી છે. પાલિકા, તંત્રના પગલાંને લોકોએ આવકાર્યું છે, ખાસ તો કુખ્યાત ગુનેગારોએ ખડકેલા દબાણોને હટાવવાની હિંમત તંત્રે કરતાં લોકો સરાહના કરી રહ્યું છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીરસબંધી ગુનાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલો ઇસમ જુમ્મો ઉર્ફે અનવર કાળુ શેખનુ ચંદ્રપુર નાળા પાસે સરકારી જમીન ઉપર બનાવાયેલું દબાણ ૮૦ ચોરસ મીટર જમીન, મિલ્કત સબંધી ગુનાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમ નવઘણ વિકાની વાસ પાસે સરકારી જમીન ઉપર કરેલા દબાણ આશરે ૮૦ ચોરસ ફીટ જમીન અંદાજીત કિંમત 10 લાખ રૂપિયાની છે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 8:02 am

અકસ્માત સર્જનાર વિરુદ્ધ ગુનો નોંધાયો:મોરબીમાં રિક્ષા-બાઈકચાલકને અડફેટે લઇ મોત નિપજાવનાર ઓડીચાલક વિરુદ્ધ ગુનો

મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ બોરીયાપાટી વિસ્તારમાં ગત તા 3 ના સવારે પુર ઝડપે આવેલી એક ઓડી કાર અચાનક ધસી આવી હતી અને આગળ જતી એક રીક્ષા તેમજ એક બાઈકને ટક્કર મારી કાર ચાલક કાર રેઢી મૂકી ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં રીક્ષા ચાલક તેમજ બાઈક સવાર બન્નેને ગંભીર હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.જો કે બન્નેની સારવાર કારગત ન નીવડતા અલગ અલગ સમયે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ મૃતકના પરિવાર દ્વારા ફરિયાદ નોધાવી હતી. મોરબી શહેરના લીલાપર કેનાલ રોડ આવેલા બોરિયાપાટી પાસે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી જેમાં પુર ઝડપે આવેલી કાર બેકાબુ બની હતી અને એક રીક્ષાની એક બાઈક સાથે અથડાવી હતી. આ બનાવમાં કુરબાનભાઈ પીરભાઈ સુરાણી નામના રીક્ષા ચાલક તેમજ મહાદેવભાઈ રણછોડભાઈ મારવણીયા નામના બાઈક ચાલકને ઇજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે લોકો એકત્ર થઇ જતા ચાલક કાર રેઢી મૂકી ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં ગંભીર હાલતમાં કુરબાનભાઈ તથા મહાદેવભાઈ રણછોડ ભાઈ મારવણીયા સારવાર માટે મોરબી બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવમાં પ્રથમ મહાદેવભાઈનું સારવાર દરમિયાન મોત થયા બાદ કુરબાનભાઈનું પણ મોત થતા આ હીટ એન્ડ રનની ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા બનાવ બાદ મૃતકના પત્ની મેરુબેને આરોપી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ભાસ્કર ઇન્સાઇડ‎કારનું રજિસ્ટ્રેશન રાજકોટ જિલ્લાનું હોવાનું સામે આવ્યું‎રીક્ષા અને બાઈકને હડફેટે લેનાર આ જીજે 01 કે ઝેડ 68 27 નંબર ની કારનું રજીસટ્રેશન રાજકોટ જિલ્લાનું હોવાનું સામે આવ્યું છે જયારે હાલ માલિકનું નામ સાગર હોવાનું સુત્રો પાસેથી સામે આવ્યું છે જેનું 2020 માં રજીસ્ટ્રેશન થયેલું છે હાલ વાહનનો પીયુસી અને વીમો એક્ટીવ હોવાનું પણ સામે આવ્યું છે જોકે તેના નામે હાલ કોઈ ચલણ છે કે નહી તે વિગત સામે આવી નથી

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 7:58 am

સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના રિપોર્ટમાં કરાયો દાવો‎:મોરબી જિલ્લામાં ભૂગર્ભ જળનું પ્રમાણ અને ગુણવત્તા સામાન્ય

મોરબી જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં ભૂગર્ભ જળની સ્થિતિ ચકાસવા હેલિકોપ્ટરથી હવાઈ સર્વે કરવામાં આવ્યો હતો શરુઆતમાં લોકો આ સર્વેને લઇ અલગ અલગ અટકળો પણ લગાવતા હતા જો કે આ સર્વેનો રીપોર્ટ પણ સામે આવ્યો છે જેમાં મોરબી જિલ્લામાં હાલ ભૂગર્ભ જળનું પ્રમાણ અને ગુણવતા હાલ સામાન્ય હોવાનું રીપોર્ટમાં સામે આવ્યું છે ભારત સરકારના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB) દ્વારા મોરબી જિલ્લામાં ભૂગર્ભ જળની ઉપલબ્ધતા અંગે કરવામાં આવેલા સર્વેની કામગીરીની કલેકટર કે.બી. ઝવેરીએ સમીક્ષા કરી હતી અને આ ભૂગર્ભ જળ સર્વેક્ષણના રિપોર્ટ પુસ્તિકાનું તેમના હસ્તે વિમોચન કરાયું હતું. વૈજ્ઞાનિકો ની ટીમ દ્વારા સર્વેની કામગીરી બાદ મોરબી જિલ્લાના મોરબી, માળીયા, હળવદ, ટંકારા અને વાંકાનેર તાલુકામાં જુદી જુદી પધ્ધતિ મુજબ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણના વિગતવાર રિપોર્ટ વૈજ્ઞાનિકો દ્વારા મોરબી કલેકટર સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ પાણી પુરવઠા અધિકારી મહેશ દામાના માર્ગદર્શન નીચે યોજાયો હતો.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 7:56 am

અનુકરણીય પહેલ:મોરબીના પાટીદાર સમાજની દંભ - દેખાડાને તિલાંજલિ, પરિવાર પર બિનજરૂરી બોજ ન પડે તે હેતુથી સગાઇ અને લગ્ન સાથે યોજે

મોરબીના પાટીદાર સમાજે લગ્ન અને સગાઈ જેવા મહત્વના યાદગાર સામાજિક પ્રસંગમાં ખોટા ખર્ચા ટાળવા અન્ય સમાજને પ્રેરણા મળે તેવી સામાજિક ક્રાંતિ આણી છે. જેમાં મોટાભાગના પાટીદાર સમાજના લોકો શિક્ષિત અને સમૃદ્ધ હોય અને લગ્ન અને સગાઈ જેવા સમાજિક પ્રસંગ ધામધૂમથી કરી શકે તેટલા સક્ષમ હોય છે. પરંતુ બધા પરિવારો આર્થિક રીતે સમૃદ્ધ હોતા નથી. આથી મોરબી શહેર, ગ્રામ્ય અને જિલ્લામાં વસવાટ કરતા આર્થિક રીતે સામાન્ય સ્થિતિ ધરાવતા લોકોને પોતાના સંતાનોના લગ્ન અને સગાઈમાં ગજા બહારનો ખર્ચ ન કરવો પડે એ માટે મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના અગ્રણીઓએ વર્ષ 2018માં સગાઈમાં જ પહેરેલા કપડે લગ્ન કરવાનું નવું સામાજિક પરિવર્તન કર્યું હતું. પછી તો જ્યાં જ્યાં આવા સામાન્ય પરિવારોની સગાઈ હોય ત્યાં આ સમિતિ પહોંચી જાય અને બન્ને પક્ષને વેવિશાળમાં કન્યા અને વર હાજર હોય, તેમાં ચાંદલા, ચૂંદડી, જમણવાર, વીંટી પહેરાવી સહિત મોટો ખર્ચ થતો હોય તો હવે પછી લગ્નમાં કેટલો ખર્ચ થશે ? તે અંગે સમજાવીને સગાઈમાં જ લગ્ન કરાવી નાખે છે. મોરબી જિલ્લામાં 2018થી 1100 જેટલા ઘડિયા લગ્ન આ રીતે જ કરી બેહિસાબી ખર્ચ બચાવ્યો છે. જેતપરથી શરૂ કરેલી ક્રાંતિકારી પ્રથા હવે ઝુંબેશ બની‎મોરબીના જેતપર ગામે 2018માં નજીકના સગામાં સગાઈ હતી. પણ એ પરિવાર સામાન્ય હતો. એટલે સગાઈનો ખર્ચ અને લગ્નનો ખર્ચ ભારે પડે એમ હોવાથી અમે સમિતિના બધા સભ્યોએ ત્યાં જઈને વડીલોને સદાઇથી આ પ્રસંગ કરવા સમજાવ્યા હતા. પછી તો આ ક્રાંતિકારી પ્રથા એક ઝુંબેશ બની ગઈ છે. ઘણા વર્ષોથી ઘડિયા લગ્નથી અન્નનો મોટો બગાડ, ફટાકડા, બેન્ડ બાજા, બગી, ઢોલ નગારા સહિતનો ખોટા દેખાડો દૂર કરી શકાયો છે. > મનુભાઈ કૈલા , સમિતિના અગ્રણી જૂના રિવાજોને પણ અલવિદા‎પાટીદાર સમાજ સમયની સાથે તાલ મિલાવી, સમયની જરૂરિયાત અનુસાર આગળ વધે છે. સમાજના પરંપરાગત રિવાજોને દૂર કરવા જેવા કે મૃત્યુ પછી પ્રેત ભોજન એટલે કે દહાડા’ ની પ્રથાને તિલાંજલિ આપવાની સાથે દીકરીના જન્મે ગોત્રીજવીધિ, વગેરે કાર્યો મારફત અન્ય સમાજોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યો છે, > દિનેશભાઇ વડસોલા, જાગૃત નાગરિક મોરબી અન્ય જિલ્લામાં પણ ઘડિયા લગ્નની સુવાસ પ્રસરી‎જિલ્લામાં તો આ ઘડિયા લગ્ન ફળદાયી નીવડ્યા છે. જેમાં જામનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં પણ ઘડિયા લગ્ન થાય છે. લોકોએ વિચારવું જોઈએ કે પૈસે ટકે સુખી સંપન્ન હોય તો શું થઈ ગયું ? ખોટા ઉડાડવાને બદલે ચાલે એમ છે તો ચલાવી લેવું, ખોટા દેખાડાની શી જરૂર છે ? > પોપટભાઈ કગથરા, સામાજિક આગેવાન

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 7:55 am

ચેતનસિહનો ગુનો ફાંસીની સજાને લાયક, જામીન ન આપોઃ પોલીસ

ટ્રેનમાં પ્રવાસીઓે ઠાર કરનારાને જામીનનો વિરોધ આ તબક્કે જામીન આપવાથી ફરિયાદ પક્ષના કેસને નુકસાન થવાની પોલીસની દલીલ મુંબઈ - પોલીસે સોમવારે ભૂતપૂર્વ આરપીએફ કોન્સ્ટેબલ ચેતનસિંહ ચૌધરીની જામીન અરજીનો વિરોધ કરીને દલીલ કરી હતી કે આરોપો ગંભીર પ્રકારના છે અને મૃત્યુદંડની સજા થઈ શકે છે. ચાલતી ટ્રેનમાં તેમના ઉપરી અને ત્રણ મુસાફરોની ગોળી મારીને હત્યા કરવાના આરોપમાં ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. લેખિત જવાબમાં જણાવાયું છે કે સાક્ષીઓની તપાસ કરવામાં આવી રહી છે અને પૂરતી સામગ્રી રેકોર્ડ પર લાવવામાં આવી છે, જે આરોપી વિરુદ્ધ પુરાવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

ગુજરાત સમાચાર 9 Dec 2025 7:55 am

21 મીએ પાલિકાની મતગણતરીના કારણે એમપીએસસીની પરીક્ષા ઠેલાઈ

હવે ચોથી જાન્યુઆરીએ પરીક્ષા યોજાશે મહારાષ્ટ્ર ગુ્રપ બી ની પરીક્ષાઓ સતત બીજા વખત મુલતવી કરાતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મૂકાયા મુંબઈ - રાજ્યમાં ૨૧મી ડિસેમ્બરે થનારી નગરપાલિકા ચૂંટણીઓની મતગણતરીને ધ્યાને રાખીને મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી)એ ૨૧ ડિસેમ્બરે યોજનારી મહારાષ્ટ્ર ગુ્રપ બીની (નોન ગેઝેટેડ) સર્વિસીસ કમ્પાઈન્ડ પ્રિલિમિનરી પરીક્ષા મુલતવી રાખી છે. હવે આ પરીક્ષાઓ ચાર જાન્યુઆરી ૨૦૨૬ના યોજવાની જાહેરાત કરી છે. જિલ્લા સ્તરે યોજાતી આ પરીક્ષાઓની સંપૂર્ણ જવાબદારી જિલ્લા કલેકટર અને મહેસૂલ વિભાગની હોવાથી આ વિભાગના તમામ કર્મચારીઓ ૨૧ ડિસેમ્બરના મત ગણતરીમાં વ્યસ્ત રહેશે.

ગુજરાત સમાચાર 9 Dec 2025 7:50 am

હિન્દુ સંગઠને ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપી રિપેરીંગની માંગ કરી:ગાજણવાવ ગામ બસ સ્ટેન્ડ‎જર્જરિત બનતા અકસ્માતનો ભય‎

ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામનું ભસ સ્ટેન્ડ હાલમાં અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં પહોંચી ગયું છે. દીવાલોમાં પડેલા મોટા ફાટા, તુટી રહેલી છત અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાને કારણે રોજિદા મુસાફરો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વૃદ્ધોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુસાફરોએ જણાવ્યું હતું કે બસ સ્ટેન્ડમાં બેસવાની યોગ્ય વ્યવસ્થા નથી, લાઇટિંગ નબળી છે અને સફાઈનું પણ યોગ્ય ધ્યાન રાખવામાં આવતું નથી. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ જર્જરિત બસ સ્ટેન્ડની બિલકુલ બાજુમાં જ આંગણવાડી આવેલી છે. ગામના સમાજ સેવક સુંદરભાઈ ડેડાણીયાએ આ અંગે રાજકોટ જીએસઆરટીસી મેનેજરને લેખિત રજૂઆત કરી છે. અને તાત્કાલિક તપાસ, મરામત તથા પુનઃનિર્માણ અંગે જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરી છે. ગ્રામજનોની માંગ છે કે મુસાફરો અને આંગણવાડીના બાળકોની સુરક્ષા માટે જીએસઆરટીસી વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં ભરીને બસ સ્ટેન્ડનું સમારકામ કે નવું નિર્માણ વેગથી શરૂ કરવામાં આવેતેવી રજુઆત આવેદનમાં કરવામાં આવી છે. ત્યારે હિન્દુ સંગઠન દ્વારા પણ ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપી માગ કરાઈ છે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 7:45 am

સલમાન સાથે સ્ટેજ શેર કરવા બદલ પવન સિંહને બિશ્નોઈ ગેંગની ધમકી

ભોજપુરી સ્ટારને જુદા જુદા મોબાઈલ પરથી ખંડણીના ફોન આવ્યા 15-20 લાખની ખંડણીની માગણીઃ પવન સિંહ માટે કામ કરવા બદલ મેનેજર સહિતના સ્ટાફને પણ ધાકધમકી મુંબઇ - ભોજપુરી અભિનેતા અને ગાયક પવન સિંહ લોરેન્સ બિશ્નોઇ ગેંગના નામથી મારી નાખવાની ધમકી મળી હતી. વિરારથી મુંબઇ જુદા જુદા મોબાઇલ નંબરોનો ઉપયોગ કરીને ફોન કરનારાએ કથિત રીતે ખંડણીની માંગણી કરી હતી અને સલમાન ખાન સાથે સ્ટેજ પર ન આવવાની ચેતવણી આપી હતી. આ ધમકીઓ મળ્યા બાદ પવન સિંહના મેનેજરે પોલીસમાં ઔપચારિક ફરિયાદો નોંધાવી હતી.

ગુજરાત સમાચાર 9 Dec 2025 7:45 am

ઠેર ઠેર ગંદા પાણી ભરાયા:સુરેન્દ્રનગર એસટી વર્કશોપમાં પેટ્રોલ પંપ સામે જ બસો ધોવાતા પાણી ભરાયા

સુરેન્દ્રનગર શહેરના ડેપોમાં ઠેર ઠેર ગંદા પાણી સાથેની ગંદકી ફેલાઇ હોવાનો ઘાટ વારંવાર સર્જાઇ છે. ત્યારે એસટી બસો માટે વર્કશોપ માટે આરસીસીની બાજુમાં ગંદકીઓ ફેલાતા યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કરવામાં આવી તેવી માંગ ઉઠી હતી. સુરેન્દ્રનગર નવનિયુક્ત એસટી ડેપોમાં અનેક સમસ્યાઓને લઇને મુસાફરો સહિતના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની રાવ ઉઠી છે. એસટી બિલ્ડિંગમાં પ્લાસ્ટિક સહિતના કચરો પણ જોવા મળે છે. જ્યારે નવા વર્કશોપ માટે આરસીસી બનાવવામાં આવ્યો છે. પરંતુ હાલ વર્કશોપ સહિતની કામગીરી ઠપ રહેતા આરસીસીની બાજુમાં કે તેની અંદર પ્લાસ્ટિકની બોટલો, ગંદા પાણી સહિતની ગંદકી ફેલાતી હોવાથી મુસાફરોને મુસ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા દિવસો પહેલા જ સ્વચ્છતાને લઇને ડેપોમાં સાફસફાઇ હાથ ધરવામાં આવી હતી. પરંતુ એસટી ડેપોના વર્કશોપ તેમજ ડીઝલ પંપની સામે જ ગંદા પાણી ભરાતા હોવાની વિગતો બહાર આવી હતી. જેના કારણે ગંદકી સાથે મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. એસટી બસોને દિવસ દરમિયાન પાણીના ફૂવારાઓ મારીને ધોવામાં આવે છે. ત્યારે તેનું પાણી આ સ્થળે જમા થતું હોવાની વિગતો બહાર આવી હતી. આ જગ્યાએ કેટલીવાર ચોમાસા જેવી સ્થિતિ સર્જાઇ જાય છે. આવો ઘાટ સર્જાતા રોગચાળાનો પણ લોકોને ભય રહે છે. આથી આ પાણીનો પણ યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 7:44 am

સાયલા પોલીસ સ્ટેશનનું આઈજીએ ઇન્સપેક્શન કર્યું‎:સ્ટેશન પરિસરમાં રહેલા અકસ્માતગ્રસ્ત, ગુનામાં ઝડપાયેલા વાહનો આસપાસ સ્વચ્છતા જાળવો

સાયલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન અનુલક્ષીને આઈજી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા પ્રેમ સુખડેલુ, ડીવાયએસપી વિશાલ રબારીએ મુલાકાત લીધી હતી. જેમાં અશોકકુમાર યાદવે સાયલા પોલીસ સ્ટેશનના પરિસરમાં રહેલા અકસ્માતગ્રસ્ત તેમજ ગુનામાં ઝડપાયેલા વાહનો તેમજ સ્વચ્છતા બાબતે સૂચનો આપીને સાયલા પોલીસની સારી કામગીરીનો પ્રતિભાવ આપ્યો હતો. જેમાં ખાસ કરીને નેશનલ હાઈવેથી પસાર થતાં વાહનોની ચેકિંગ અને ટ્રાફિક બાબતની કામગીરી બાબતે પોલીસ પૂછપરછ અને કરેલી કાર્યવાહીની તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસના ક્વાર્ટરની મુલાકાત લીધી હતી અને વૃક્ષારોપણ કરીને પોલીસના પરિવારજનોની મુલાકાત લઈને તેમની સમસ્યા અને મુશ્કેલી બાબત જાણી હતી પોલીસ ક્વાર્ટરના પરિસરમાં રમતગમતના સાધનો સહિત બાળકોમાં કૌશલ્યતા વધે તેવા સાધનો બાબતે પણ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. સાયલાના ઇન્ચાર્જ પીઆઈ ડી.ડી. ચુડાસમા સહિતના પોલીસ કર્મીઓને આજે પોલીસ પરેડમાં આઇજી ઉપસ્થિત રહેશે સુરેન્દ્રનગર જિલ્લાના વાર્ષિક ઇન્સપેકસન માટે જિલ્લા પોલીસ વડા આવ્યા છે. આથી આજે મંગળવારે સવારે 7-30 કલાકે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડ યોજાશે. જેમાં અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ વિસ્તારમાં ગુનાખોરી ડામવા માટેના પ્રયાસો અને કડક કાર્યવાહીની સૂચના આપી હોવાનું તેમજ નેશનલ હાઈવે ઉપરની હોટલો તેમજ રેસ્ટોરન્ટમાં સીસીટીવી કેમેરાનો અમલવારી થાય તેવા સૂચનો આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 7:43 am

ગટરના પાણી રોડ આવ્યા:ચોટીલા શાસ્ત્રીનગર આગળ હોટલો,‎ગેસ્ટ હાઉસના ગટરના પાણી રસ્તા પર‎

ચોટીલા સૌરાષ્ટ્ર સુપ્રસિદ્ધ યાત્રાધામ આવેલું છે. તેમજ સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર હોવાથી નેશનલ હાઈવે પસાર થાય છે. તેમાં મોટી સંખ્યામાં યાત્રાળુ અને પ્રવાસીઓ આવતા હોય છે. તેથી ગેસ્ટ હાઉસ અને હોટલ, રેસ્ટોરન્ટ મોટી સંખ્યામાં આવેલા છે. તેમાં શાસ્ત્રીનગરના આગળના ભાગે આવેલા હોટલ અને રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસમાં પાણીનો નિકાલ શાસ્ત્રીનગરના ભૂગર્ભ ગટર સાથે જોડાણ કરવામાં આવ્યુ છે. આથી હોટલ રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસના પાણી નિકાલ કરતા ભૂગર્ભ ગટરોમા અવારનવાર કચરો ભરાઈ જતા ગટરો ઉભરાયને રસ્તા ઉપર પાણી ફરી વળે છે. આથી દૂષિત પાણીમાંથી લોકોને પસાર થવું પડે છે. તેમજ પાણીમાંથી દુર્ગંધો આવતા ઘરમાં રહેવું મુશ્કેલ પડી રહ્યું છે. દૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાવવાનું ભય સતત સતાવ્યા કરે છે. ચોટીલા નગરપાલિકામાં રહીશો દ્વારા જાણ કરવામાં આવતા નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હોવાનું છતાં હોટલ રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસ સંચાલકો દ્વારા તેની દરકાર લીધા વિના દૂષિત પાણીનો નિકાલ કરવામાં આવે છે. શાસ્ત્રીનગરના રહીશોની માંગણી મુજબ હોટલ રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસના સંચાલકો દ્વારા પાણીનો વ્યવસ્થિત નિકાલ કરવામાં આવે. જેથી દૂષિત પાણી અને રોગચારાના ભયમાંથી લોકોને મુક્તિ મળી રહે તેવી રહીશો દ્વારા માંગ ઉઠી હતી.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 7:40 am

ટ્રાફિક સમસ્યા સર્જાઈ:રોજ 50થી વધુ ટ્રેનો પસાર થતા 50 હજારથી વધુ ચાલકો ત્રાહિમામ્

વઢવાણના વિકાસમાં અવરોધક રેલવે ફાટકો બન્યા છે. જેમાં રોજ 50થી વધુ ટ્રેનો પસાર થાય છે. આથી વાઘેલા માળોદ રસ્તો નવો વિકાસ વિદ્યાલય રેલ્વે ફાટક વારંવાર બંધ થાય છે. જેના કારણે વાઘેલા ટીંબા કારિયાણી વડોદ વસ્તડી માળોદ, ખોલડીયાદ, રામપરા, મઢાદ, ટુવા,ગુંદીયાળા, ગામ તરફ જતો બિસ્માર રસ્તા પર 50 હજારથી વધુ લોકો પરેશાન છે. આ અંગે રવજીભાઈ કોળી, મહેન્દ્રસિંહ સોલંકી, વિક્રમસિંહ ડોડિયાએ જણાવ્યું કે વઢવાણ તાલુકાના ગામોને તાલુકા મથક વઢવાણને જોડતો રસ્તો બિસ્માર છે. આ રસ્તા પર વિકાસ વિદ્યાલય અનાથ આશ્રમ, ટાઠી વડલી, કાંગસીયા વસાહતને શોર્ટકટ પડે છે. જ્યારે માળોદ, ખોલડિયાદ, રામપરા, ચાણોણર, ફુલગ્રામ, નાના મઢાદ, ટુવા, ગુંદીયાળા, મોટામઢાદને વઢવાણ તાલુકા મથક માટે ઉપયોગ થાય છે. પરંતુ વિકાસ વિદ્યાલય રેલ્વે ફાટક વારંવાર બંધ થાય છે. આ રેલવે લાઇન રોજ 60 ટ્રેનો પસાર થાય છે. આથી રેલવે ફાટક બંધ રહેતા હજારો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રેલ્વે ફાટકથી વિકાસ વિદ્યાલય સુધીનો હાડકાતોડ રસ્તો છે. આથી કાયમી ઉકેલ માટે ઓવરબ્રિજ બનાવી રસ્તા નવિનીકરણની માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 7:39 am

હજારો મુસાફરોને મળશે રાહત:કોઠારીયા લખતરનો 15 કિમી રસ્તો રૂ.106 કરોડના ખર્ચે ફોરલેન બનશે

સુરેન્દ્રનગરના લોકોનો ખાસ કરીને અમદાવાદ સાથે આવવા જવાનો મોટો વ્યવહાર છે. અનેક પરિવાર અમદાવાદ સ્થાયી થયા છે. આથી અનેક લોકો દરરોજ અમદાવાદ જતા આવતા હોય છે. ત્યારે કોઠારીયાથી લખતર સુધી ફોરલેન રોડ રૂ.106 કરોડના ખર્ચે મંજુર કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરથી વિરમગામ જતો રસ્તો વઢવાણથી કોઠારીયા સુધી ફોરલેન બનાવાયા છે. ત્યાંથી આગળ લખતર સુધી 15 કિમીનો રસ્તો બે માર્ગીય છે. આ રસ્તા ઉપર દિવસેને દિવસે ટ્રાફિક વધુતુ જાય છે. કારણ કે લખતરથી વિરમગામ સુધી સુરેન્દ્રનગરની હોદમાં ફોરલેન રસ્તો બની ગયો છે. ત્યારે આ 15 કિમીનો ટુકડો બે માર્ગીય હતો. જેને પણ રૂ.106 કરોડના ખર્ચે મંજુર કરાયાનું નાયબ દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું. રસ્તાનું કામ પૂર્ણ થઇ ગયા બાદ સુરેન્દ્રનગરથી છેક વિરમગામ સુધી લોકોને ફોરલેન રસ્તાની સુવિધા મળશે. આ રસ્તો હાલ એક બાજુ 9 મીટર પહોળો છે તે બંને બાજુ 27 મીટરનો બનશે. અમદાવાદ જવા 25 મિનિટ બચશે સુરેન્દ્રનગરથી અમદાવાદ જવા બે રસ્તા છે જેમાં 1 વાયા લીંબડી, બીજો વાયા વિરમગામ થઇને. લીંબડીના રસ્તા ઉપર જીઆઇડીસીનું ટ્રાફિક નડે છે. જ્યારે વિરમગામના રસ્તા ઉપર ટ્રાફિક ઓછુ હોય છે. જો આ અધૂરો ફોરલેન પૂરો થઇ જાય તો લોકોને અમદાવાદ જવામાં 25 મિનિટ બચી શકે છે. રસ્તાનો ગેરેન્ટી પિરિયડ ડિસેમ્બરમાં પૂર્ણ થાય છેલખતરનો રસ્તો 12 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. અને તેનો ગેરેન્ટી પિરિયડ 12 વર્ષ બાદ ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થાય છે. ત્યાર બાદ ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અંદાજે 2 મહિનામાં કાર્યવાહી પૂર્ણ થઇ ગયા બાદ રસ્તાનું કામ ચાલુ થઇ શકેશે. > ડી.આર.પટેલ, ઇજનેર માર્ગ મકાન ભાસ્કર એક્સપર્ટ

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 7:38 am

નિષ્કામ કર્મયોગનો સંદેશ:સ્વામિનારાયણ ગુરુકુળમાં ગીતા જયંતીએ વિદ્યાર્થીઓએ જીવનમાં શ્લોક ઉતારવાનો સંકલ્પ લીધો

સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની સુરેન્દ્રનગર શાખા ખાતે સોમવારના રોજ ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ સમાન ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રાગટ્ય પર્વ ગીતા જયંતીની પરમ પૂજ્ય સંતો, વિદ્યાર્થીઓ અને સ્ટાફની ઉપસ્થિતિમાં ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ગુરુકુળ પરિસર જ્ઞાન, ભક્તિ અને ધાર્મિક વાતાવરણથી ગૂંજી ઉઠ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર અને ભગવાન શ્રીકૃષ્ણના પવિત્ર ચરણોમાં દીપ પ્રજ્વલનથી કરવામાં આવી હતી. ત્યારબાદ ગીતાજીનું પૂજન અને આરતી કરાઈ હતી. વિદ્યાર્થીઓ દ્વારા ભગવદ્ ગીતાના પસંદગીય શ્લોકોનું ગાન, ગીતા મહાત્મ્યનું વાચન તેમજ ગીતા પર આધારિત નાનકડાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ગુરૂકુળના આચાર્યએ પોતાની વાણીમાં ગીતા એ માત્ર ધાર્મિક ગ્રંથ નહીં પરંતુ જીવન જીવવાની કળા શીખવતો અમૂલ્ય માર્ગદર્શક ગ્રંથ છે તેવી પ્રેરણાદાયી વાતો કરી હતી. આ પ્રસંગે ગીતા પારાયણ, ધ્યાન, ભજન-કીર્તન અને પ્રેરણાત્મક પ્રવચન દ્વારા સમગ્ર ગુરૂકુળમાં આધ્યાત્મિક વાતાવરણ છવાઈ ગયું હતું. કાર્યક્રમના અંતે, ગુરુકુળના સંચાલક પૂ. આનંદપ્રયસ્વામીજી એ ગીતાજીના અમર સંદેશ - નિષ્કામ કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ પર માર્ગદર્શક પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગીતાજી યુવાનોને આજના સમયમાં યોગ્ય નિર્ણય લેવા અને જીવનની મુશ્કેલીઓમાં સ્થિર રહેવાની શક્તિ આપે છે. કાર્યક્રમના અંતે, ગુરુકુલના આચાર્યએ વિદ્યાર્થીઓને ગીતાજીના ઓછામાં ઓછા એક શ્લોકને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. આ ભવ્ય આયોજન દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળે વિદ્યાર્થીઓમાં સંસ્કાર, સદાચાર અને આધ્યાત્મિક જ્ઞાનનું સિંચન કરવાનો પોતાનો ઉદ્દેશ ફરી એકવાર સાબિત કર્યો હતો. આ કાર્યક્રમમાં સુરત ગુરુકુળથી પધારેલ સંત શ્વેત વૈકુંઠ દાસજી સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ વિદ્યાર્થીઓને ગીતા જીવનમાં ખૂબ ઉપયોગી બને છે તે આધારિત મનની વાતો દ્વારા ઉપદેશ આપ્યો હતો. સાથે 800 ઉપરાંત વિદ્યાર્થી તેમજ તમામ કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા. ગીતા જયંતી અને એકાદશી સાથે હોવાથી 700 ઉપરાંત બાળકોએ આ મંગલ દિવસે ઉપવાસ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 7:33 am

16 લાખમાં મેડિકલ મશીન મગાવ્યું પેકિંગમાંથી પ્લાયવુડ અને પુંઠાં જ નીકળ્યા

મલાડની બિઝનેસ વુમન સાથે છેતરપિંડી ડિલિવરીમાં વિલિંબઃ ચેક પણ બાઉન્સ થયા ઃ વડોદરામાં કંપની ધરાવતા રાજકોટના રહીશ ડો. નિશાંત મહેતાની ધરપકડ મુંબઈ - મુંબઈની બિઝનેસવુમને વડોદરાની એક કંપની પાસેથી ૧૬ લાખમાં એક મેડિકલ મશીન મગાવ્યું હતું. જોકે, બહુ વિલંબ બાદ ડિલિવરી મળી ત્યારે પેકિંગમાંથી મશીનને બદલે ફક્ત પ્લાયવુડ અને પુંઠાં જ નીકળ્યાં હતાં. મહિલાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે રાજકોટમાં રહેતા અને વડોદરામાં કંપની ધરાવતા નિશાંત મહેતાની ધરપકડ કરી હતી.

ગુજરાત સમાચાર 9 Dec 2025 7:30 am

આજે ઇન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ કરપ્શન:જિલ્લામાં 6 વર્ષમાં 25 કેસમાં 42 લાંચીયા કર્મી ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી કચેરીઓમાં લાંચરૂશ્વત લેવાના બનાવો સામે આવતા હોય છે. જેમાં જિલ્લામાં છેલ્લા 6 વર્ષમાં કુલ 25 ગુનાઓમાં 42 કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે. જેમાં 1 હજારથી લઇ 1 લાખ સુધીની લાંચ માંગી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોઇ પણ સરકારી કચેરીઓમાં કામ કરાવવા માટે નાણા ધરવા પડતા હોવાની બુમરાડો ઉઠી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 6 વર્ષમાં લાંચ લેતા લાંચીયા રાજાઓ સામે કાર્યવાહીની થઇ છે. જેમાં જિલ્લામાં 5 વર્ષમાં કુલ 25 ફરિયાદ નોંધાઇ છે. જેમાં 42 કર્મચારી રંગે હાથ પકડાયાનું સામે આવ્યું છે. જેમાં સૌથી વધુ પોલીસ, પીજીવીસીએલ, ખાણખનીજ, મામલતદાર કચેરી સ્ટાફ, કલેક્ટર કચેરઓ, પ્રાંત કચેરી સ્ટાફમાં ક્લાસ વન અધિકારીથી લઇ નાના કર્મચારીઓ પણ લાંચ લેતા પકડાયા છે. જેમાં 1 હજારથી લઇ 1 લાખ સુધીની રકમની માંગણી કરાઇ હતી. ભાસ્કર એક્સપર્ટગુનો સાબિત થાય તો 10 વર્ષની સજાની જોગવાઈ લાંચ લેનાર અધિકારી સામે ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ કાર્યવાહી થતી હોય છે જેમાં જો ગુનો નોંધાય તો કર્મચારી સામે સસ્પેન્ડ કરવાથી લઇ જો ગુનો સાબિત થાય તો 10 વર્ષની સજાની જોગવાઈ છે. > હિરેન મહેતા, એડવોકેટ ભાસ્કર ઈનસાઈડઅપ્રમાણસર રકમોમાં પણ કરોડો સામે આવ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં 5 વર્ષમાં નોંધાયેલી એસીબીની ફરીયાદોમાં અપ્રમાણસર મિલકતો પણ સામે આવી હતી. જેમાં 2021 એક કેસમાં 5.40 કરોડની અપ્રમાણસર મિલકતો પકડાઇ હતી. જ્યારે એક 2023ના ગુનામાં 88.84 લાખની મિલકત પણ પકડાઇ હતી. જ્યારે 2024ના ગુનામાં 3.31 લાખ ગેરકાયદે મિલકત પકડાઇ હતી.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 7:28 am

શાળાના વિદ્યાર્થીઓ બાખડ્યા:ધો.12 અને ધો.9ના વિદ્યાર્થીઓ‎ બાખડ્યા, માથામાં લાકડી મારી‎

સાયલાના મોડેલે સ્કૂલમાં જર્જરીત સાર્વજનિક હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ માટે અભ્યાસની વ્યવસ્થા શરૂ કરાઇ છે. ત્યારે 8 ડિસેમ્બરના રોજ સાંજના સમયે અચાનક સ્કૂલના વિધાર્થીઓ આમને-સામને આવી ગયા હતા. જેમાં 2 વિદ્યાર્થીઓના માથાના ભાગે ઇજા થતા સારવાર માટે સાયલા દવાખાને લઇ જવામાં લાવ્યા હતા. અચાનક આ બાબતે સાયલા પોલીસને જાણ થતાં પોલીસ સરકારી દવાખાને દોડી ગઇ હતી અને 12 ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને 9 ધોરણના વિદ્યાર્થી હોવાનું બહાર અપાવ્યું હતું અને પ્રાથમિક સારવારમાં માથાના ભાગે લાકડીથી ઇજા થઇ હોવાનું બહાર અપાવ્યું હતું. ઇજાગ્રસ્તને સારવાર આપીને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બાબતે સાયલા પોલીસે વધુ તપાસ શરુ કરી કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, રાજ્યમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીના કેસમાં વધારો થઇ રહ્યો છે. મોબાઇલ ગેમ્સ, હિંસક વીડિયોથી બાળકોની માનસિકતા ઉપર પણ અસર પડી રહી છે. શાળા છુટ્યા બાદ હાઇવે પર બનાવ બન્યો છે સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઇ છે તેના સમાચાર મને મળ્યા હતા. સાંજે 5 કલાક પછી શાળા છુટ્યા બાદ શાળાની બહાર અને શાળાથી દુર હાઇવે પર બન્યો છે. > ભાર્ગવ દવે, પ્રિન્સિપાલ મોડેલ સ્કૂલ

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 7:27 am

મુરૂમાં ઘાતકી હત્યા:ધારિયાથી માથું, હાથ અને પગ કાપી બોરવેલમાં નાખી ધડ જમીનમાં દાટ્યું

નખત્રાણાના મુરૂ ગામના 20 વર્ષીય યુવાનની પરિણીત મહિલા સાથેના આડા સબંધને કારણે ક્રુરતાપૂર્વક હત્યા નીપજાવી દેવાઈ હોવાની ઘટના સામે આવી છે. છ દિવસ અગાઉ યુવક ગુમ થતા પોલીસે શોધખોળ આદરી હતી અને શકમંદ આરોપીને ઉઠાવી પૂછપરછ કરતા સહ આરોપી સાથે મળી યુવકને મોતને ઘાટ ઉતારી ધારિયાથી માથું અને હાથ કાપી બોરવેલમાં નાખી દીધા હતા જયારે ધડને જમીનમાં દાટી દેતા પોલીસે ઘટના સ્થળેથી યુવકના ધડને શોધી લઇ અન્ય અંગો બોરવેલમાંથી બહાર કાઢવાની કવાયત શરૂ કરી છે. આ અંગે પોલીસ સૂત્રો તેમજ સ્થાનિકેથી પ્રાપ્ત વિગતો મુજબ મુરૂ ગામના 20 વર્ષીય રમેશભાઈ પુંજાભાઈ મહેશ્વરીની ગામના જ આરોપી કિશોર મહેશ્વરી અને કાયદાના સંધર્ષમાં આવેલા સગીરવયના આરોપીએ હત્યા નીપજાવી છે. બનાવ અંગે મળેલી વિગતો મુજબ મૃતક યુવક ગત 2 ડીસેમ્બરના ગાયબ થયો હતો. યુવક ગુમ થઇ જતા નખત્રાણા પોલીસે ગુમનોંધ દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી હતી. એ દરમિયાન આરોપી કિશોર શંકાના દાયરામાં આવતા પોલીસે તેને ઉઠાવ્યો હતો. જેની પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મૃતક યુવકને આરોપીના કુટુંબની પરિણીત મહિલા સાથે આડા સબંધ હતા. જેની જાણ થતા બન્ને આરોપીઓએ સાથે મળી હત્યા નીપજાવવાનો કારસો ઘડ્યો હતો. જે બાદ યુવકને ગામની સીમમાં લઇ જઈ મોતને ઘાટ ઉતારી દેવાયો હતો અને આરોપીઓએ ધારિયાથી તેનું માથું અને હાથપગ કાપી નાખી બોરવેલમાં નાખી દીધા હતા. જયારે મૃતકનો ધડ બોરવેલની બાજુમાં જ જમીન અંદર દાટી નાખ્યો હતો. આરોપીઓની કેફિયત બાદ સોમવારે પોલીસ અને તંત્રની ટીમે ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતા મૃતકનો જમીનમાં દાટેલો ધડ મળી આવ્યો હતો.જયારે બોરવેલમાંથી મૃતકના શરીરના અંગો કાઢવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. આ લખાય છે ત્યાં સુધી મળેલી વિગતો મુજબ બન્ને આરોપીને રાઉન્ડઅપ કરી લેવાયા છે અને મૃતકના અંગોની શોધખોળ ચાલુ છે. નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ, મામલતદાર રાકેશ પટેલ, નખત્રાણા પીઆઇ એ. એમ. મકવાણા, પીએસઆઇ આર. ડી. બેગડિયા સહિત તંત્રની ટીમો સ્થળ પર શોધખોળમાં મોડી રાત સુધી કામે લાગી હતી. આ બાબતે સત્તાવાર પોલીસનો સંપર્ક સાધતાં હાલ તબક્કે શરીરના અંગો શોધવાની પ્રક્રિયા ચાલુમાં હોઇ સત્તાવાર વિગતો જાહેર કરાઇ નથી. ત્રણ બોરવેલમાં કાપેલા અંગો નાખી દેવાયાઆરોપીઓએ યુવકની ક્રુરતાપૂર્વક હત્યા નિપજાવ્યા બાદ સીમમાં આવેલા અલગ અલગ ત્રણ બોરવેલમાં અંગો નાખી દીધા હતા.યુવકનું માથું,હાથ-પગ અને હત્યા માટે ઉપયોગમાં લેવાયેલ હથિયાર પણ આરોપીઓએ બોરવેલમાં નાખી દઈ ઉપરથી પથ્થરો નાખી દીધા હતા તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 7:20 am

પત્રકારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન:ભુજ ખાતે મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે ભુજના રેડક્રોસ ભવન ખાતે પત્રકારઓ માટે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હેલ્થ કેમ્પમાં બહોળી સંખ્યામાં પત્રકારઓએ ભાગ લઈને હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું. આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં બ્લડ ટેસ્ટ, એક્સ-રે, ઇસીજી સહિતના વિવિધ ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતાં. ભુજ ખાતે આયોજિત હેલ્થ કેમ્પનો પત્રકાર, ફોટોગ્રાફર અને માહિતી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ લાભ લીધો હતો. કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ મોટો હોય 9 ડિસેમ્બરના રોજ ગાંધીધામ રેડક્રોસ ભવન, ગાયત્રી મંદિર રોડ ખાતે પણ સવારે 9 કલાકથી હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજ ખાતે આયોજિત હેલ્થ કેમ્પમાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. આ હેલ્થ કેમ્પમાં રેડક્રોસના ટ્રેઝરર સંજયભાઈ ઉપાધ્યાય, રેડક્રોસના સેક્રેટરી મિરા સાવલીયા, સીનિયર સબ એડિટર ગૌતમ પરમાર, જિલ્લા માહિતી કચેરીના સહાયક અધિક્ષક એસ.આઈ.કેવલ, તબીબ ટીમમાં સર્વે જયંતિભાઇ, હર્ષિલભાઇ, જીતુભાઈ સુખડીયા, ઈસીજી ટેક્નિશીયન સુરેશ ચાવડા સહિતના લોકો જોડાયા હતાં.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 7:10 am

યુવાઓ સાથે ‘હેરિટેજ વોક’ યોજવામાં આવી:ભુજમાં પાણી, પર્યાવરણ, વાતાવરણમાં બદલાવ અને ઘન કચરા વિશે ચર્ચા કરાઇ

ભુજના ઐતિહાસિક સ્મારકોને જાણવાની સાથે શહેરના પ્રાણસમા પ્રશ્નો પર યુવાનોની ભાગીદારી વધે તે હેતુસર “અનોખો યુવામંચ” દ્વારા તાજેતરમાં હેરિટેજ વોકનું આયોજન થયું હતું જેમાં ૪૦થી વધુ યુવાનો જોડાયા હતા. આ વોકમાં હોમ્સ ઇન ધ સિટીના જય અંજારિયાએ ભુજની ઓળખસમી પંક્તિ “અઢી કાંગરા, એક કટારી, પાંચ નાકા ને છઠ્ઠી બારી, ત્રણ આરા, ચોથી પાવડી ને બજાર વચ્ચે કરી ચાવડી”નું મહત્વ સમજાવતાં ભુજના પાટવાડી ગેટ થી રામકુંડ વચ્ચે જમાદાર ફતેહ મહમ્મદનો ખોરડો-હજીરો, નાનીબા સંસ્કૃત પાઠશાળા, પંચહટડી ચોક, પાવડી, પ્રસાદીનું સ્વામિનારાયણ મંદિર, રઘુનાથજીનો આરો, હાટકેશ્વર મંદિર, જન્નત મસ્જિદ, પાંચ નળ, મહાદેવ ગેટ, દેડકાવાળી વાવ, રામરોટી છાશ કેન્દ્ર અને રામકુંડ સહિત સ્મારકો આવરીને યુવાનોને માહિતગાર કર્યા હતા. વોકના અંતે રામકુંડ ખાતે એકત્ર થયેલા યુવાનો સાથે પાણી, પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ અને ઘન કચરા વિશે ચર્ચા કરવામાં આવી હતી. યુવાનોએ ઐતિહાસિક ધરોહર સમાન સ્થળો સિવિક સેન્સના અભાવે ગંદકીથી ખરડાઈ રહ્યાં છે તેમ જણાવ્યું હતું. આગામી સમયમાં યુવાનો તંત્રનાં સંકલનમાં સ્પોટ ફિક્સિંગ જેવી પ્રવૃતિઓમાં જોડાશે. યુવાનોને જોડીને પાણી, ઘનકચરા, જૈવ વિવિધતા, અસંગઠીત ક્ષેત્રોના કામદારો, અનૌપચારીક બજાર વ્યવસ્થા સહિત મુદ્દાઓ પર મુલાકાતો સાથે ચર્ચા કરવામાં આવશે. હોમ્સ ઇન ધ સીટી, અર્બન એન્વાયરોન્મેન્ટ એજ્યુકેશન, અર્બન સેતુ ટીમ તેમજ કચ્છ યુવા નવનિર્માણ સમાજના પ્રતિનિધિ વોકમાં જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 7:07 am

સરપંચ ઉપર આક્ષેપ મૂકાયો:બેલા સરપંચે સગીર વયની છોકરી સાથે લગ્ન કર્યાનો આક્ષેપ

બેલા ગામના સરપંચે સગીર વયની છોકરી સાથે લગ્ન કર્યા હોવાથી સરપંચના પદ પરથી સસ્પેન્ડ કરવા લેખિતમાં અરજી કરાઈ હતી. સરપંચે સગીર વયની છોકરી સાથે લગ્ન કરાયાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. શક્તિસિંહ મંગુભા વાઘેલાએ પંચાયતના વિસ્તરણ અધિકારી સમક્ષ સરપંચ લાલજી ગણેશભાઈ ભીલ સામે ફરિયાદ કરી હતી કે સરપંચે જેની સાથે લગ્ન કર્યા છે તેની જન્મતારીખ 15/12/2008 છે. જેથી તેમની ઉંમર 17 વર્ષ થાય છે. આ સાથે નાની હમીરપર પ્રાથમિક શાળાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પણ રજૂ કરવામાં આવ્યું હતું. આમ સરપંચે 18 વર્ષથી નાની ઉંમરની છોકરી સાથે લગ્ન કર્યા છે. બાળ લગ્ન પ્રતિબંધ કાયદા મુજબ બાળલગ્ન કર્યા હોવાથી સરપંચ દ્વારા કાયદાનો ભંગ કરવામાં આવ્યો છે. સાથે ઉમેર્યું હતું કે, સરપંચને હાલે એક સંતાન પણ હોવાનું જાણવા મળ્યું છે. તેથી તેમને સરપંચના પદ પરથી સસ્પેન્ડ કરવા લેખિતમાં અરજી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 7:06 am

ધ્રાંગધ્રા અને આડેસર વન વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહી:નાના રણમાં મીઠાના અગરમાં બુલડોઝર ફરી વળ્યું

કચ્છના નાના રણમાં સૂરજબારીથી ભીમદેવકા સુધી અંદાજે એક લાખ એકરમાં વિસ્તરેલા ઘુડખર અભયારણ્યમાં રણ માફિયા દ્વારા ગેરકાયદે કબ્જો કરીને દર વર્ષે લાખો ટન મીઠુ પકાવાય છે ત્યારે અભયારણ્યમા ધ્રાંગધ્રા અને આડેસર વન વિભાગની ટીમ દ્વારા નર્મદા સોલ્ટ નામના એકમમા બુલડોઝર ફેરવી દેવાયું હતું. આ સ્થળે ગેરકાયદે ઉભો કરાયેલા વોશરી પ્લાન્ટ, ઓરડીઓ, કન્ટેનરની ઓફિસો સહિતના બાંધકામ તોડીને જમીન દોસ્ત કરી દેવાયા હતા. નડિયાદની એસઆરપી કંપની તેમજ હથિયારધારી પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી હતી. બીજી બાજુ સૂરજબારી ચેરાવાંઢ નજીકના રેલવે ફાટક પાસે હથિયારધારી પોલીસ જવાનોનો પહેરો ગોઠવાયો છે જેથી મંજૂરી વિના રણમાં કોઇ પ્રવેશ કરી શકે નહિ. ગેરકાયદે મીઠાંના અગરો તોડી પડાશેઘુડખર અભયારણ્યના ડીએફઓ ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, નાના રણમાં ગેરકાયદે મીઠાના અગર સામે કામગીરી કરાશે. સૂરજબારીથી આડેસર સુધી જે ગેરકાયદે મીઠાના અગરો છે તે તમામ તોડી પડાશે. ચાર દિવસની મહેતલ આપવામાં આવીસૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રણમાં જે જુના મીઠાનો સ્ટોક પડેલો છે તેને ઉપાડવા માટે ચાર દિવસની મહેતલ આપવામાં આવી છે. આ બાબતે DFOઓએ સમર્થન આપતાં કહ્યું હતું કે, જેમનો જથ્થો પડ્યો છે તેને ઉપાડી લેવા ચાર દિવસની મહેતલ આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 6:58 am

દયાપરમાં તા. પંચાયતની સામાન્ય સભામાં વિવિધ મુદ્દા ચર્ચાયા:લખપત તા.માં જર્જરિત શાળાઓને તોડવાની દરખાસ્ત ઉચ્ચકક્ષાએ મુકાઇ

દયાપરમાં યોજાયેલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 15 માં નાણાપંચ અંતર્ગત તાલુકામાં વિવિધ વિકાસલક્ષી યોજનાના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. તાલુકા પંચાયત પ્રમુખ દયાબા જસુભા જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં દિનેશ સતવારાએ લખપત તાલુકામાં જીએમડીસી દ્વારા આજુબાજુના ગામોમાં સીએસઆર ફંડ હેઠળ આરોગ્ય, શિક્ષણ, રમતગમતના સાધનો, રોડ લાઈટ, સફાઈ અભિયાન જેવી યોજનાઓ બનાવી જે ફંડ વાપરવામાં આવે છે તેનો ઉપયોગ ટેન્ડર વિના કરવામાં આવતો હોવાથી જીએમડીસી દ્વારા આ ફંડમાંથી થતા કામો ટેન્ડર પ્રક્રિયા દ્વારા કરવામાં આવે એવી લેખિત રજૂઆત કરી હતી. તાલુકામાં અમુક પ્રાથમિક શાળાઓની હાલત જર્જરિત હોવાની રજૂઆતના પગલે તાલુકા પ્રાથમિક ઇન્ચાર્જ શિક્ષણ અધિકારી હર્ષદ પંચાલે આવી પ્રાથમિક શાળાઓને તોડી પાડવા માટેની દરખાસ્ત ઉચ્ચકક્ષાએ મોકલી હોવાનું જણાવ્યું હતું. આરંભે ઉપસ્થિત સભ્યોને ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી વિકાસ ચંદેએ આવકાર્યા હતા. ઉપપ્રમુખ રાજુભાઈ સરદાર, સા.ન્યા.સમિતિ ચેરમેન દિનેશ સોલંકી, જિલ્લા પંચાયત સદસ્ય મીનાબા જાડેજા, વિપક્ષી નેતા સમરતદાન ગઢવી તેમજ સભ્યો સાથે ના. હિસાબી નિમિષ પટેલ, હિસાબનીસ ગજેન્દ્ર ભટ્ટી, વિહોલા, તાલુકા હેલ્થ ઓફિસર કે. કે. પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 6:56 am

ભાસ્કર એક્સક્લુસિવ:ગટર,પાણીના કામ થયા ત્યાં પણ રકમ ફાળવાશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ફેબ્રુઆરી મહિના દરમિયાન જાહેર થાય એવી શક્યતા નજરે નગરપાલિકા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છેલ્લા બોલે વધુને વધુ વિકાસ કામો કરી જવાની વેતરણમાં છે. જેમાં જિલ્લા પંચાયતે સદસ્યને 15માં નાણા પંચની વ્યાજની રકમમાંથી પાણી અને ગટરના કામો માટે રકમ ફાળવવા સામાન્ય સભા બોલાવવાનું નક્કી કર્યું છે. પરંતુ, મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ગટર અને પાણીના કામો થઈ ગયા છે, જેથી એ રકમ ખર્ચવા પરાણે રોડ રસ્તા તોડી લાઈનો પાથરવાની નોબત આવી છે! ભુજ સહિતના શહેરમાં નગરપાલિકા દ્વારા વિકાસ કામો થતા હોય છે. જોકે, એમાં વિસ્તાર વિકાસ સત્તા મંડળોને સત્તા અધિકાર હોય છે. પરંતુ, મોટેભાગે નગરપાલિકા દ્વારા જ કામો થતા હોય છે. જ્યારે ગ્રામ્ય સ્તરે વિકાસ કામો માટે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ઉપરાંત ધારાસભ્ય અને સાંસદ પણ ગ્રાન્ટ ફાળવે છે. રાજ્ય સરકારે 15માં નાણા પંચની ગ્રાન્ટમાંથી માત્ર પાણી અને ગટરના કામો કરવાની નીતિ અપનાવી છે. જિલ્લા પંચાયત પાસે 15માં નાણા પંચની ગ્રાન્ટની રકમથી મળેલી વ્યાજની રકમ 4 કરોડ જેટલી વપરાયા વિના પડી છે, જેથી દરેક સદસ્યને ફાળવવા 15મી ડિસેમ્બરે બોલાવવા નક્કી થયું હતું. પરંતુ, રવિવારે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી. આર. પ્રજાપતિની ગાંધીનગરમાં સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક તરીકે તાત્કાલિક મૂકાયા છે. જેના પગલે જિલ્લા વિકાસ અધિકારી ગાૈતમ ઉત્સવને પણ બદલીની ગંધ આવી ગઈ હોય એમ સામાન્ય સભાની તારીખ 1લી જાન્યુઆરીએ ઠેલી દીધાની અટકળો શરૂ થઈ ગઈ છે. જોકે, 15માં નાણા પંચની ગ્રાન્ટની વ્યાજની રકમમાંથી પાણી અને ગટરના વિકાસ કામો માટે સદસ્યોને રકમ ફાળવવા સામાન્ય સભા મળવાની છે. પરંતુ, પાણી અને ગટરના કામો થઈ ગયા હોય તોય નિયમ મુજબ એ રકમ એવા કામો પાછળ કેમ ખર્ચવી એ મૂંઝવણ પ્રમુખ જનકસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓ અને સદસ્યો અનુભવી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો કેટલાક સદસ્ય સી.સી. રોડ તોડીને બાજુમાં બીજી લાઈનો પાથરીને પણ રકમ ખર્ચે એવી નોબત આવી ગઈ છે, જેથી રકમ પાણીમાં જાય એવો તાલ સર્જાયો છે. વિકલ્પ આપવા રજૂઆત કરી હતી : જનકસિંહજિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નિયમ મુજબ પાણી અને ગટરના વિકાસ કામોમાં જ રકમ વાપરવાની છે. પરંતુ, સદસ્યોના વિસ્તારોમાં એ કામ થઈ ગયા હોય તો પછી એજ કામમાં કેમ વાપરવી એ મુદ્દે ગાંધીનગરમાં રૂબરૂમાં રજુઆત કરી હતી. વિકલ્પ આપવાનો વિચાર પણ વ્યક્ત કર્યો હતો, જેથી અન્ય જરૂરી વિકાસ કામો થઈ શકે. દરેક સદસ્યને 10 લાખ રૂપિયા ફાળવાશે15માં નાણા પંચની ગ્રાન્ટની રકમના વ્યાજની રકમ 4 કરોડ જેટલી છે. જે વપરાયા વિના પડી રહી છે, જેમાંથી દરેક સદસ્યને 10-10 લાખ રૂપિયા ફાળવાશે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 6:55 am

પ્રવાસીઓને રાહત:સરકારના ભાવ બાંધણાથી ભુજ-મુંબઈ, દિલ્હીના હવાઇ ભાડા નિયંત્રણમાં આવ્યા

દિવાળીની રજાઓ અને તહેવારોમાં એર ટ્રાફિક વધતા ભુજથી મુંબઈ અને દિલ્હીની હવાઇ સેવાઓના ભાડા બમણા વધી જાય છે બંને હવાઇ સેવાના ભાડા 5 થી 10 હજારની વચ્ચે નક્કી થયેલા છે પણ સીઝનમાં ભાડા 15 થી 20 હજાર પહોંચી જતા હોવાથી પ્રવાસીઓને આર્થીક ભારણ પડે છે.જોકે હવે ભાવ નિયંત્રણ લાદવામાં આવ્યું છે. તાજેતરમાં ઈન્ડિગો ફલાઈટના રૂટ કેન્સલ થતા વિવિધ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઇ અને અન્ય એરલાઇન્સ દ્વારા મોકાનો લાભ ઉઠાવી ડોમેસ્ટિક રૂટમાં બેથી ચાર ગણા ભાવ કરવામાં આવતા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય હરકતમાં આવ્યું અને ભાવ નિયંત્રણ લાગુ કર્યું છે જેમાં 500 કિલોમીટરના પરિવહન સુધી 7500, 500 થી 1000 કિલોમીટરના પરિવહનમાં 12 હજાર, 1 હજારથી 1500 કિમીમાં 15 હજાર અને 1500 કિમીથી વધારે હવાઇ પરિવહનમાં 18 હજાર સુધી ભાડું નક્કી કરવામાં આવ્યું છે. આ ભાડા મર્યાદા લાગુ UDF, PSF અને કર સિવાયની છે. આ ભાડા મર્યાદા બિઝનેસ ક્લાસ, ઉડાન ફ્લાઇટ માટે લાગુ નથી.ભાડા મર્યાદા જ્યાં સુધી સ્થિતી સામાન્ય કે આગામી સમીક્ષા ન થાય ત્યાં સુધી લાગુ રહેશે. આ મર્યાદા તમામ પ્રકારના બુકિંગ માટે લાગુ પડશે.આ નિયમના કારણે ભુજથી મુંબઈ જતી બંને ફલાઇટના ભાવ 5 થી 10 હજારની વચ્ચે અને દિલ્હીના ભાડા 8 થી 9 હજારની વચ્ચે પહોંચ્યા છે.આ નિયંત્રણ થોડા દિવસોના બદલે કાયમી ધોરણે લાગુ રહે તેવી માંગ પ્રવાસીઓ કરી રહ્યા છે જેથી આગામી દિવસોમાં નાતાલ સહિતની રજાઓમાં મુસાફરોને ફાયદો થઈ શકે. એલાયન્સ એરની ફલાઇટ ફરી બંધભુજથી મુંબઇ માટે સવારે ઉડાન ભરતી એલાયન્સ એરની ફલાઇટ અગાઉ ડેઇલી હતી બાદમાં અમદાવાદ પ્લેન ક્રેશ પછી બંધ થઇ અને અઠવાડિયામાં 3 દિવસ સેવા કર્યા બાદ ફરી બંધ થઈ ઉપરાંત ભુજ-મુંબઇ વચ્ચે ફેર સે ફુરસ્ત યોજના લાગુ કરી ઉડાન ભરવામાં આવી અને ફરી હાલમાં ટેકનીકલ કારણોથી આ સેવા સ્થગિત છે.હવે જાન્યુઆરીમાં શરૂ થાય તેવી શકયતા છે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 6:52 am

કરુણાંતિકા સર્જાઈ:હમીરસરમાં ન્હાવા ગયેલી કિશોરીને ખેંચ આવતા ડૂબી જવાથી મોત

શહેરના હદયસમા હમીરસર તળાવમાં ન્હાવા માટે ગયેલી 15 વર્ષીય ભિક્ષુકવૃતિ કરતી કિશોરીનું ડૂબી જવાથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકેથી મળેલી વિગતો મુજબ 15 વર્ષીય જમનાબેન હેમંતભાઈ સલાટનું હમીરસર તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે.બનાવ સોમવારે સવારે દસ વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી કિશોરી ન્હાવા માટે તળાવમાં ઉતારી હતી.એ દરમિયાન તેને ખેંચ આવી જતા ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગઈ હતી.બનાવ બાદ તાત્કાલિક કિશોરીને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. સમગ્ર મામલે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ એન.બી.ચૌધરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,હતભાગી કિશોરી હમીરસર તળાવની આસપાસ પરિવાર સાથે રહેતી હતી અને ભીખ માંગવાનું કામ કરતી હતી. સવારે ન્હાવા ગઈ ત્યારે ખેંચ આવતા ડૂબી ગઈ હોવાનું સામે આવ્યું છે.તેમજ કિશોરી માનસિક રીતે પણ અસ્થિર હતી જેની સારવાર પણ ચાલુ હતી.હાલ સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 6:50 am

સિટી એન્કર:ઠગાઈમાં 44 લોકોએ ગુમાવેલા 13.49 લાખ પરત અપાવાયા

હાલના સમયમાં રૂપિયા પડાવવા ચીટરો અવનવા કીમિયા અજમાવી લોકોને શીશામાં ઉતારે છે જેમાં લોન, લોટરી અને શોપિંગ જેવા બહાને બેંક ખાતામાંથી ઓનલાઈન રૂપિયા સેરવી લેવાના કિસ્સાઓ વધ્યા છે. તેવામાં ગત નવેમ્બર મહિનામાં પશ્ચિમ કચ્છ સાયબર ક્રાઈમ સેલે 10.77 લાખ અને પોલીસ સ્ટેશન દ્વારા 2.72 લાખ મળી કુલ રૂપિયા 13.49 લાખ ઠગાઈનો ભોગ બનનાર 44 અરજદારોને પરત અપાવ્યા છે. પશ્ચિમ કચ્છમાં લોન, લોટરી, અનઓથોરાઈઝેડ ટ્રાન્ઝેક્શન, જોબ, શોપિંગ, આર્મીના નામે ઓએલએક્ષ-ફેસબુક એડમાંથી વસ્તુની ખરીદીને લગતા ફ્રોડનો ભોગ બનેલા અરજદારોએ સાયબર સેલ અને સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ લખાવી હતી.જેને ધ્યાને લઇ પોલીસે તાત્કાલિક ઠગાઈમાં ગયેલી રકમ અલગ અલગ બેંકમાં ફ્રીઝ કરાવી હતી. જે બાદ અરજદારોને રકમ પરત મળી રહે તે માટે પોલીસે કોર્ટમાં અરજી કરાવી હતી.જેમાં વિવેક કીર્તિગર ગુસાઈના ગયેલ રૂપિયા 2.81 લાખ માંથી 2.02 લાખ, ગૌરવસિંહ સુખબીરસિંહના ગયેલા રૂપિયા 1.61 લાખ, પિંડોરીયા રાજેશભાઈ કેશરાભાઈના 4.61 લાખ માંથી 1.07 લાખ, સોઢા યશવંતસિંહ ચંદ્રસિંહના 2.24 લાખમાંથી 97 હજાર, હરેશ વાલજી પટેલના 80 હજાર તેમજ કેરાઈ વનીતાબેન રમેશભાઈના 55 હજાર મળી કુલ 44 અરજદારોને રૂપિયા 13.49 લાખ કોર્ટ ઓર્ડર મેળવી અરજદારોને બેંક ખાતામાં પરત અપાવ્યા છે. સિનિયર સિટીઝન ગઠીયાઓના નિશાન પરસાયબર ક્રાઈમના બનાવમાં વધુ પડતા ભોગ બનનાર સિનિયર સિટીઝન હોવાનું સામે આવ્યું છે. પોલીસ, ઇડી અને સીબીઆઈના અધિકારીઓને નામે ગઠીયાઓ તેમને ધમકાવે છે અને કાયદેસરની કાર્યવાહી થવાની બીક બતાવી બેંક ખાતામાંથી રૂપિયા પડાવી લેતા હોય છે. જેનાથી બચવા માટે અજાણી લીંક ન ખોલવી તેમજ ગુગલ પ્લેસ્ટોરમાં પ્રોટેક્શન ઓન રાખવું અને મોબાઈલમાં કવચ 2.0 એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવી જરૂરી છે. ડિજિટલ અરેસ્ટથી બચવા આટલું કરવુંસાયબર ગુનેગારો દ્વારા ઇડી, સીબીઆઈ અને પોલીસના નામે ધમકાવી કાર્યવાહીની બીક બતાવી નકલી દસ્તાવેજોના આધારે લોકોના અસલ દસ્તાવેજો મેળવી લેતા હોય છે. આવા કિસ્સાઓમાં ઠગાઈનો ભોગ બનતા બચવા માટે તાત્કાલિક પોતાના પરિવાર, નજીકના પોલીસ મથક અને સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર જાણ કરવી જોઈએ. કેમકે સાચી પોલીસ ક્યારેય વિડીયો કોલ કરતી નથી અને ફોન દ્વારા અરેસ્ટ કરવાની ધમકી આપતી નથી. આ ઉપરાંત ગુનેગારોએ આપેલા બેંક ખાતામાં રૂપિયા જમા કરાવવા નહીં.તેમજ ટૂંકા સમયગાળા માટે લોન આપવાનું જણાવતી ઇન્સટન્ટ લોન એપ ડાઉનલોડ કરવાનું ટાળવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 6:50 am

તાંત્રિકે વિધિના નામે યુવતીની એકલતાનો લાભ લેવાનો પ્રયાસ કર્યો:વિધિના નામે યુવતીને અર્ધબેભાન કરી દુષ્કર્મનો પ્રયાસ

માધાપરની એક સોસાયટીમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 24 વર્ષીય આરોપી તાંત્રિકે ક્રાઈમ પેટ્રોલ પર જોયા બાદ ખોટી વિધિ કરવાનું શરૂ કર્યું હતું અને ભુજની 19 વર્ષીય યુવતીને નડતરની વિધિ કરવાના નામે અર્ધબેભાન કર્યા બાદ શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલો પોલીસ મથકે પહોચતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. ભોગ બનનાર ફરિયાદી યુવતીએ માધાપર પોલીસ મથકે મુળ માંડવી વિસ્તારના અને હાલ માધાપરની જલારામ સોસાયટીમાં રહેતા આરોપી વિશાલ ચંદુલાલ મારાજ વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 6 ડીસેમ્બરના બપોરે એક વાગ્યાથી રાત્રે સાડા આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન આરોપીના ઘરે બન્યો હતો. ફરિયાદીને કોઈ નડતર હોવાનું કહી આરોપીએ વિધિ કરવાનું કહ્યું હતું. આરોપી તાંત્રિકે વિધિના નામે યુવતીને સંમોહન કરી અર્ધબેભાન કરી દીધી હતી. જે બાદ શરીર સબંધ બાંધવાના ઈરાદે આરોપી તાંત્રિકે યુવતીના કપડા ઉતારવાનો પ્રયાસ કર્યો હતો અને હોઠ પર ચુંબન કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો . પોતાની કરતુત છુપાવવા આરોપીએ કોઈને વાત કરીશ તો તારા માતા-પિતાનું મોત થશે તેવી ધમકી પણ આપી હતી. સમગ્ર મામલે માધાપર પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે જ્યારે આરોપીની વધુ પૂછપરછ કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં ક્રાઈમ પેટ્રોલ ટીવી સિરીયલ જોયા બાદ આરોપી ખોટી વિધિ કરવાના નામે અડપલા કરવાનું શીખ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીની અટકાયત બાદ કોર્ટમાં રજુ કરી તેને પાલારા જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. ભાસ્કર ઈનસાઈટધુમાડો કરી અર્ધબેભાન કર્યા બાદ હોઠ પર સિગારેટની રાખ લગાવીસમગ્ર મામલે તપાસ કરનાર માધાપર પોલીસ મથકના પીએસઆઈ બી.એ.ડાભી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આરોપી તાંત્રિક મુળ માંડવી વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. જે છેલ્લા 6 મહિનાથી માધાપરમાં રહેવા માટે આવ્યો હતો. ભોગ બનનાર યુવતી આરોપીના ઘરે તેની માતા અને અન્ય એક મહિલા સાથે ગઈ હતી. જે બાદ આરોપીએ નડતર દુર કરવાની વિધિ એકાંતમાં કરવી પડશે તેવું કહી યુવતીને અંદરના રૂમમાં લઇ ગયો હતો. જ્યાં એકલતાનો લાભ લઇ અર્ધબેભાન કરવા માટે આરોપી તાંત્રિકે લીંબુ, અગરબત્તી સહીતના પેંતરા અજમાવ્યા હતા અને સિગારેટ પી બંધ રૂમમાં ધુમાડો કર્યો હતો. યુવતી અર્ધબેભાન થઇ ગયા બાદ આરોપીએ વિધિના નામે અડપલા શરૂ કર્યા હતા. તાંત્રિકે સિગારેટ પી તેની રાખ યુવતીના હોઠ પર લગાવી હતી. જે બાદ તાંત્રિકે વળગાડને અંદરથી બહાર કાઢવાના બહાને યુવતી સાથે અડપલા શરૂ કરતા સજાગ થયેલી યુવતી રૂમમાંથી બહાર આવી ગઇ અને ઘરે ગયા બાદ સમગ્ર ઘટનાની માતાને વાત કરી હતી. અંધશ્રદ્ધાથી દુર રહી યોગ્ય સારવાર લેવીઆ તાંત્રિક વિધિનો કિસ્સો સામે આવ્યા બાદ કોઈપણ વ્યક્તિ અંધશ્રદ્ધાના વિશ્વાસમાં ન આવે તે માટે માતા-પિતા સહીત પરિવારજનોએ જરૂરી તકેદારી રાખવી જોઈએ.કોઈપણ બીમારી હોય તો તબીબી સારવાર લેવી જોઈએ અથવા કોઈ ગુનાહિત પ્રવૃત્તિ હોય તો પોલીસની મદદ લેવી જોઈએ. આ મામલે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એચ.આર.જેઠીએ પણ લોકોને અંધશ્રદ્ધામાં ન આવવા અને આવા તાંત્રિકો પર વિશ્વાસ ન કરવા માટેની અપીલ કરી છે. આ બનાવમાં પોલીસે લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે,આરોપી તાંત્રિકની વિધિના નામે કોઈપણ વ્યક્તિ ભોગ બન્યો હોય તો નિર્ભયતાથી સામે આવે. પોલીસ નામ ગુપ્ત રાખી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 6:49 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:ભીમાસરથી ધર્મશાળા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પૂર્ણતાના આરે પણ આરઓબીનો નકશો રાતોરાત બદલતા રોજેરોજ ટ્રાફિક જામ

ભીમાસરથી ધર્મશાળા વાયા ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ કે જે સરહદી કચ્છ જિલ્લામાં સ્થપાયેલા ઉદ્યોગો અને દેશની સુરક્ષા દ્રષ્ટિએ પણ મહત્વનો છે તે મોટાભાગનો પૂર્ણ થઈ ગયો છે. પરંતુ રેલડી ફાટક એટલે કે કુકમા બાદ રેલવે ઓવર બ્રિજ બનાવવા માટે દોઢ વર્ષથી ઘોંચમાં પડ્યો છે. પાંચ વર્ષ અગાઉ એક એજન્સીએ કામ પડતું મૂક્યું હતું ત્યારબાદ હાલ જે એજન્સી કામ કરી રહી છે તે પણ ભીમાસર થી ભુજ નું કામ માત્ર રેલડી રેલ્વે ઓવરબ્રિજને કારણે અધૂરો રહ્યો છે. દોઢ વર્ષ પહેલા ફાટક પાસેના ROB માટે બનેલો નકશો રાતરાત બદલી જતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને કામ અટક્યું છે જે હજુ થાળે નથી પડ્યું. રેલડી ફાટક પાસે મુન્દ્રા તરફ જતા મીઠાનું પરિવહન કરતા તોતિંગ વાહનો રેલવે પસાર ન થતી હોય ત્યારે ખુલ્લા ફાટક વખતે પણ માર્ગની ગોલાઈને કારણે મુશ્કેલી પડે છે. મોટે ભાગે રાત્રે ટ્રાફિકજામ થવાની સમસ્યા રોજિંદી છે. રેલવે ઓવરબ્રીજ બનવામાં થઈ રહેલા વિલંબ અંગે સ્થાનિક ખેડૂત પુનાભાઈ આહીર જણાવે છે કે સૌપ્રથમ માર્ગ મંજૂર થયો ત્યારના નકશામાં રેલડી ફાટક પરના ઓવરબ્રિજ માટેની ડિઝાઇનમાં માત્ર થોડી ગોલાઈ અને ખેડૂતોની ન્યૂનતમ જમીન જતી હતી પરંતુ ‘કોઈક’ કારણસર રાતોરાત નકશામાં ફેરફાર થતા 11 ખેડૂતોને ખેતરની વચ્ચેથી આ બ્રિજનો માર્ગ પસાર થાય છે. જે આર્થિક નુકસાની પડે તેમ છે. આ કારણથી અમે ધારાસભ્ય, સાંસદ, મુખ્યમંત્રી સુધી રજૂઆત કરીને ફેર વિચારણા માટે જણાવ્યું છે જે હજુ સુધી ફેરફાર કરી શક્યા નથી. રાષ્ટ્રીય ધોરીમાર્ગના કચ્છ ખાતેના પ્રોજેક્ટ ડાયરેક્ટર અજય સ્વામીએ જણાવ્યું કે અત્યાર સુધી જે વિલંબ થયો છે તેનો નિવેડો ટૂંક સમયમાં આવી જશે અને આવતા 10 મહિનામાં રેલડી ઓવરબ્રીજ તૈયાર થઈ જશે અને ટ્રાફિક સમસ્યા ભૂતકાળ બનશે. જૈન સાધુ સાધ્વીઓના વિહાર ધામના અસ્તિત્વ પર ખતરોનવો નકશો ફેરફાર સાથેનો જે મંજૂરીની પ્રક્રિયામાં છે તે મુજબ જો ઓવર બ્રિજ બને તો વિહાર કરતા જૈન સાધુ સાધ્વીઓ માટેના લક્ષ્મી વિહાર ધામના અસ્તિત્વ પર મોટો ખતરો ઊભો થયો છે તેવું સંસ્થાના ટ્રસ્ટીઓ જણાવે છે. જુનો નકશો હતો તે મુજબ બહુ ઓછું નુકસાન થતું હતું પરંતુ બાદમાં તૈયાર કરવામાં આવેલ નકશો કે જે મુજબની મહિનાઓથી કામગીરી અટકેલી છે તે ફાયદા કરતાં નુકસાન વધુ થશે તેવું સ્થાનિકોનું માનવું છે. નકશો બદલ્યો ત્યારબાદ ત્રણ કલેક્ટર અને ચાર પ્રાંત અધિકારી બદલી ગયા !સામાજિક અગ્રણી અને સ્થાનિક ખેડૂત એવા શશીકાંત પટેલ તેમજ વિવિધ ખેડૂતોએ સૌપ્રથમ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય સહિત રજૂઆત કરી પરંતુ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ત્યારે તત્કાલીન જિલ્લા સમાહર્તા પ્રવિણા ડી.કે. ત્યારબાદ દિલીપ રાણા, અમિત અરોરાની પણ બદલી થઈ અને હાલ કલેકટર તરીકે આનંદ પટેલ છે. તો પ્રાંત અધિકારી તરીકે મનીષ ગુરુવાણી, અતિરાગ ચાપલોત, સહિતના ચાર પ્રાંત અધિકારીની પણ બદલી થઈ ગઈ છે હજુ સુધી અંતિમ મંજૂરી નથી આવી. રેલવે ફાટકની પહોળાઈ વધારવાની શક્યતા નથીભુજ નજીક રેલડી ફાટક પર ચાલતી કાયમી ટ્રાફિક સમસ્યા અંગે રેલ્વે ઓવરબ્રિજના નિર્માણની પ્રક્રિયા શરૂ થઈ છે. ફાટકની પહોળાઈ વધારી શકાય કે નહીં તે અંગે પૂછતા એઆરએમ આશિષ ધાનિયાએ જણાવ્યું હતું કે પહોળાઈ વધારવાની કોઈ શક્યતા નથી. તેમણે વધુમાં જણાવ્યું કે ટૂંક સમયમાં ઓવરબ્રિજ તૈયાર થઈ જશે, જેથી ભવિષ્યમાં ફાટકની જરૂરિયાત જ નહીં રહે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 6:45 am

કરુણ અકસ્માત સર્જાયો:કથામાંથી પરત ફરી રહેલા મોપેડ ચાલક વૃદ્ધનું કારની અડફેટે મોત

દુમાડ ગામમાં રહેતું વૃદ્ધ દંપતી છાણી જકાત નાકા પાસે તેમના સંબંધીના ઘરે કથા માટે મોપેડ લઈને ગયા હતા. મોપેડ સવાર વૃદ્ધ દંપતીનો કાર સાથે અકસ્માત થતાં વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું. વૃદ્ધના દીકરાએ સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. લક્ષ્મણભાઈ અને તેમના પત્ની રાત્રીના એક વાગે વેમાલી ગામ તરફ આવી રહ્યા હતા. કારે ઓવરટેક કરતા અકસ્માત થયો હતો. કાર ચાલકે વળાંક લેતા કારનો પાછળનો ભાગ મોપેડ સાથે અથડાયો હતો અને વૃદ્ધ મોપેડ ચાલક રોડ પર પટકાયાં હતા અને તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ભાસ્કર ઇનસાઇડજન્મદિવસ ઊજવીને પરત ફરતા યુવકે ટક્કર મારીસમા ખાતે આવેલા પંચમ ઈમ્પીરીયરમાં રહેતો 21 વર્ષિય પાર્થ મુકેશ પ્રજાપતિનો 6 નવેમ્બર શનિવારે જન્મ દિવસ હતો. જેથી તે રાત્રે મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી માટે ગયો હતો. તે બાદ તે કારમાં એકલો ઘરે આવી રહ્યો હતો અને જ્યારે તે લીલેરીયા મેદાન તરફ વળાંક લઈ રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 6:39 am

પ્રજાજન પરેશાન:દિવસ-રાત વાહનોથી ધમધમતા વુડા સર્કલ પાસે પાણીની લાઇનનું સમારકામ શરૂ થતાં ટ્રાફિક જામ બેવડાયો, વાહનચાલકોને હાલાકી

શહેરના વુડા સર્કલથી અમીત નગર તરફ જવાના રસ્તા પર પાલિકા દ્વારા સોમવારના રોજ સવારથી પાણીની લાઇનના લીકેજની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેના કારણે સાંજના સમયે પીક અવર્સમાં સર્કલ ખાતે વાહન ચાલકોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ કામગીરી દરમિયાન ટ્રાફિક જામના દર્શ્યો સર્જાયા હતા. જેથી સાંજના સમયે કામકાજ પતાવીને ઘરે જતાં શહેરીજનોને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. પાલિકા દ્વારા સોમવારના રોજ સવારથી પાણીની લાઇનના લીકેજની કામગીરી શરૂ કરાતાં સમસ્યા સર્જાઈ હતી.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 6:37 am

માંડવી ગેટનું રિસ્ટોરેશન કરવાની માંગ:ઐતિહાસિક માંડવીનું રિસ્ટોરેશન હજુ શરૂ ન કરાયું, લહેરીપુરા સહિતના ગેટની જાળવણીમાં ઉદાસીનતા

માંડવી દરવાજાનું યોગ્ય રિસ્ટોરેશન થાય તે માટે એમ.જી રોડ પર આવેલા વિઠ્ઠલનાથજી મંદિરના પુજારી હરિઓમ વ્યાસ દ્વારા છેલ્લા 240 દિવસથી માંડવી ગેટ નીચે અષ્ટાક્ષર મંત્રના જાપ કરી રહ્યાં છે. ત્યારે 8 ડિસેમ્બરના રોજ પૂજારીના તપના 240 દિવસ પુરા થયા ત્યાં સુધી પાલિકા દ્વારા ગેટના રિસ્ટોરેશન માટે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું નથી. જ્યારે દિવસે ને દિવસે ભારે વાહનોની અવર-જવરના કારણે ગેટના પાયાને વધુ નુકસાન થવાની ભીતિ રહેલી છે. ત્યારે હરિઓમ વ્યાસે 5 મહિના પહેલા માંડવી ગેટના નિરીક્ષણ કરીને ‌1 મહિનામાં ગેટનું રિસ્ટોરેશનનું કામ ચાલુ કરી દેવાશે તેવી બાંહેધરી આપીને ગયેલા મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ તાત્કાલીક માંડવી ગેટનું રિસ્ટોરેશનનું કામ શરૂ કરાય તેવી અપીલ કરાઈ છે. પૂજારીએ શરૂ કરેલા તપથી અત્યાર સુધીની ટાઈમલાઈન ફર્સ્ટ પર્સનચાર દરવાજા ઉપરથી પહેલાંના સમયમાં તહેવારો દરમિયાન શરણાઈ વાદન કરાતું હતું, જે પ્રથા હવે ભૂતકાળ બની ગઈ વડોદરાના હેરિટેજ વારસાનું યોગ્ય રિસ્ટોરેશન અને જાળવણી થાય તેમજ માંડવી ઐતિહાસિક દરવાજાના જર્જરિત પીલરનું કામ ઝડપથી શરૂ થાય માટે મે ખુલ્લા પગે રહી રોજ માંડવી નીચે બપોરે 12થી 4 અષ્ટાક્ષર મંત્ર જાપની તપસ્યા 13 એપ્રિલ 2025ના રોજ શરૂ કરી હતી. 8 ડિસેમ્બરે મારી તપસ્યાને 240 દિવસ પુરા થયા છે. પરંતુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા હેરિટેજના જાળવણી માટે કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી જેનું દુઃખ છે. માંડવી તેમજ અન્ય ચાર દરવાજા ઉપરથી પહેલાના સમયમાં તહેવારો દરમિયાન શરણાઈ વાદન કરાતું હતું, જે પ્રથા હવે ભૂતકાળ બની ગઈ છે. જ્યારે વડોદરાના ચારેય દરવાજાની હાલત ખુબ જ દયનીય બની ગઈ છે. આ બધી ઐતિહાસિક ઇમારતોની સુંદરતા અને ભવ્યતા નષ્ટ થતી હોય એવું લાગે છે. મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલો હેરિટેજ સેલ શું કરે છે એ એક મોટો પ્રશ્ન છે. જ્યાં સુધી માંડવી દરવાજાને યોગ્ય રીતે રિસ્ટોરેશન કરવામાં નહી આવે ત્યાં સુધી મારી તપશ્ચર્યાં ચાલુ જ રહેશે. (પૂજારી હરિઓમ વ્યાસ સાથે થયેલી વાતચીતના અનુસાર) ચારેય દરવાજાની સ્થિતિ : ઐતિહાસિક ઇમારતો પાસે ગંદકી, ખાણીપીણીની લારીઓનું સામ્રાજ્ય માંડવી માંડવી દરવાજાના પાયા જર્જરિત થઈ ગયા છે. રિસ્ટોરેશન કરવા તેની આસપાસ ગોળનું પાણી, ચુનો,ઈંટ અને રેતીનું મિશ્રણ લગાવાયું છે. જોકે દરવાજાની આસપાસ વાહનોની અવર-જવર ચાલુ જ છે. જેના વાઈબ્રેશનથી દરવાજાના પાયાને નુકસાન થવાની ભીતિ છે. ચાંપાનેર દરવાજો આ દરવાજા પાસે જીઈબીનો સામાન મુકવામાં આવે છે. આ ઉપરાંત આ દરવાજા પાસે પાર્કિંગ તેમજ ગંદકી પણ કરવામાં આવતી હોય છે. લહેરીપુરા દરવાજો આ દરવાજાની આગળ અને પાછળ ચીજવસ્તુઓ વેચવા માટે લારીઓ લગાવવામાં આવે છે. તેમજ લહેરીપુરા દરવાજાની દીવાલો પર ઘડિયાળો પણ વેચાણ માટે ટીંગાળવામાં આવી રહી છે. પાણીગેટ દરવાજો આ દરવાજાને અડીને જ ચંપલનું સ્ટેન્ડ બનાવી દેવામાં આવ્યું છે. જ્યારે ધાર્મિક સંસ્થા દ્વારા આ દરવાજાને અડીને જ ગેટ પણ બનાવી દેવામાં આવ્યો છે. જેનાથી દરવાજો અડધો આ સંસ્થાની અંદર જતો રહ્યો છે. ગેંડીગેટ દરવાજો આ દરવાજા પાસે લારીઓ ઉભી રાખવામાં આવે છે. જ્યારે આ દરવાજાની ઉપર જવાનો રસ્તો પણ જર્જરિત થઈ ગયો છે. પાલિકા દ્વારા આ દરવાજાનો રખરખાવ કરવામાં ન આવતા જે જર્જરિત હાલતમાં પહોંચી ગયો છે. ન્યાય મંદિર આ ઐતિહાસિક ઇમારત પાસે દિવસમાં ગાડીઓનું પાર્કિંગ સ્ટેન્ડ બનાવી દેવામાં આવ્યું છે. જ્યારે રાત પડે ત્યારે ખાણીપીણીનું લારીઓનું સામ્રાજ્ય ઊભું થઈ જાય છે. આ બધી જ ઐતિહાસિક ઇમારતો પાસે ગંદકીનું સામ્રાજ્ય છે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 6:33 am

શિક્ષણ બોર્ડે 16 જાન્યુઆરીથી પ્રી-બોર્ડ જાહેર કરી:વાસી ઉત્તરાયણના બીજા દિવસે પ્રી-બોર્ડની પરીક્ષા, ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓનો તહેવાર બગડશે

બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવેલા કેલેન્ડર પ્રમાણે જાન્યુઆરી મહિનામાં પ્રી-બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. વાસી ઉત્તરાયણના બીજા દિવસે 16 જાન્યુઆરીથી પ્રી-બોર્ડનું આયોજન કરાયું છે. ઉત્તરાયણના બીજા દિવસે પ્રી-બોર્ડના પગલે વિદ્યાર્થીઓ સામા પવને પરીક્ષા આપશે તેવી સ્થિતિ સર્જાશે. ધો 9 થી 12ના વિદ્યાર્થીઓની ઉત્તરાયણ બગડશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાકીય પ્રવૃત્તિનું જે કેલેન્ડર જાહેર કર્યું છે કે જેમાં ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે પ્રી-બોર્ડની પરીક્ષા 16 જાન્યુઆરી થી 24 જાન્યુઆરી સુધી યોજાશે. વાસી ઉત્તરાયણના બીજા દિવસથી પરીક્ષા શરૂ થતી હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલ સ્થિતિ વચ્ચે પરીક્ષા આપવાનો વારો આવશે. શહેર-જિલ્લાની 350 શાળાઓમાં 1.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઉત્તરાયણના તહેવારો હોવાથી ઘોંઘાટ વચ્ચે વિદ્યાર્થીઓ વાંચી શકે તે શકય નથી. જેથી ઉત્તરાયણ પહેલા જ વિદ્યાર્થીઓએ તેમનું રીવીઝન પૂરું કરી દેવું પડશે. બોર્ડ દ્વારા સમયપત્રક ગોઠવાય છે ત્યારે તહેવારોને ધ્યાનમાં રખાઈ રહ્યા નથી. તાજેતરમાં બોર્ડ પરીક્ષાના સમય પત્રકમાં પણ ધુળેટી સમયે પરીક્ષા ગોઠવાઈ હતી. શાંતિપૂર્વકના વાતાવરણમાં વિદ્યાર્થીઓ તૈયારી કરી શકે તેવા આયોજનને બદલે મનફાવે તેમ પરીક્ષા ગોઠવવામાં આવી રહી છે. ભાસ્કર એક્સપર્ટવિદ્યાર્થીઓનું મન પતંગ ઉડાવવામાં ભટકી શકે,સિઝનલ બીમારી પણ વિક્ષેપ પાડી શકેઆ સમયગાળામાં વિદ્યાર્થીઓને મુખ્યત્વે બે પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પ્રથમ અને સૌથી મોટી મુશ્કેલી ઉતરાયણ છે. 14 જાન્યુઆરીએ ઉતરાયણ છે અને તમારી પરીક્ષા 16 જાન્યુઆરીએ શરૂ થાય છે. આ સમયે વાતાવરણમાં ઘોંઘાટ હશે અને વિદ્યાર્થીઓનું મન પતંગ ચગાવવામાં ભટકી શકે છે. જો વિદ્યાર્થી 14 અને 15 તારીખે થાકી જશે તો 16 તારીખના પેપર પર તેની સીધી અસર થશે. બીજી મુશ્કેલી શિયાળાની ઋતુ છે. ઠંડીના કારણે સવારે વહેલા ઉઠવામાં આળસ આવી શકે છે અને રાત્રે જલ્દી ઊંઘ આવી જાય છે. આ ઉપરાંત, શરદી-ખાંસી જેવી નાની બીમારીઓ પણ અભ્યાસમાં વિક્ષેપ પાડી શકે છે. લગ્નસરાની સીઝન હોવાથી સામાજિક પ્રસંગો પણ ધ્યાન ભટકાવી શકે છે. > પરેશ શાહ, વિષય નિષ્ણાત સીબીએસઇની પ્રી-બોર્ડ પણ ઉત્તરાયણના તહેવારો ટાણે જ યોજાશેસીબીએસઇ બોર્ડની પ્રી-બોર્ડની પરીક્ષા પણ ઉત્તરાયણના તહેવારો સમયે યોજાશે. સીબીએસઇ દ્વારા ઉત્તરાયણના તેહેવારો સમયે પરીક્ષાનું આયોજન કર્યું છે. અમુક સ્કૂલોએ ઉત્તરાયણ પહેલા પરીક્ષાઓ પૂરી થઇ જાય તે પ્રકારે પરીક્ષા યોજવાની જાહેરાત કરી છે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 6:28 am

વડોદરા એચ.આર. ફોરમ દ્વારા અનકન્વેન્શન 6.નું આયોજન:સમલૈંગિક હોવું બીમારી નથી, સન્માન સાથે જીવવાનો અધિકાર : માનવેન્દ્રસિંહ

વડોદરા એચ.આર. ફોરમ દ્વારા અનકન્વેન્શન 6.0નું આયોજન કરાયું હતું, જેમાં રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ તથા દિલ્હીના મ્યુઝીક સ્ટોરી ટેલર લક્ષ માહેશ્વરીએ લોકોને મંત્રમુગધ કર્યાં હતા. માનવેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સમલૈંગિક હોવું બીમારી નથી અને તેમને પણ સન્માનભેર જીવવાનો અધિકાર છે. વડોદરા એચ.આર ફોરમના પ્રમુખ અર્જુનસિંહ સોલંકીએ જણાવ્યું કે એચ.આર.ક્ષેત્રમાં જ્ઞાન અને નવીનતમ અપડેટ્સના આદાન-પ્રદાનને પ્રોત્સાહનના કાર્યક્રમોનું નિયમિત આયોજન કરાય છે. સંસ્થાના વિશાલ આનંદના પત્ની અને દીકરીએ સુંદર ગણપતિ વંદના કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી. જેમાં રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ અને બીજા લક્ષ માહેશ્વરીએ આધુનિક સામાજિક અને માનવ સંસાધન વિષયો પર પ્રેરણાદાયક વિચારો રજૂ કર્યાં હતા. સંસ્થાના વિશાલ આનંદે જણાવ્યું કે આજે કાર્યક્રમમાં 250થી વધુ એચ.આર. વ્યાવસાયિકોએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોષીએ તેમના મુદ્દાઓને યોગ્ય ફોરમમાં રજૂ કરશે તેમ પણ જણાવ્યું હતું. કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ-સિન્ડિકેટ સભ્ય દીપક શાહ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 6:27 am

મશાલ યાત્રાનું સંતો-હરિભક્તો દ્વારા ભવ્ય સ્વાગત:પૂ.મહંત સ્વામીની પ્રાગટ્ય ભૂમિ જબલપુરથી શરૂ થયેલી મશાલ યાત્રા સાથે104 યુવાનો વડોદરામાં

સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની જ્યોત સદૈવ પ્રજવલિત રાખનાર બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની 104મી જન્મ જયંતી માગશર સુદ આઠમ, તા.28 ડિસેમ્બરના રોજ તેઓના પ્રાગટય સ્થાન ચાણસદથી વડોદરા બીએપીએસના 104 યુવાનોએ મશાલ યાત્રાનો પ્રારંભ ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રાગટય ભૂમિ જબલપુરથી પ્રારંભ કર્યો હતો. રવિવારે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ તારીખ 7 ડિસેમ્બરે અમદાવાદના રિવરફ્રન્ટ પર ઉજવાયેલ ઉત્સવમાં આ 104 મશાલયાત્રીને મહંત સ્વામી મહારાજની હાજરીમાં સન્માનવામાં આવ્યા હતા. સોમવારે આ મશાલયાત્રીઓ અટલાદરા મંદિરે પહોંચ્યા ત્યારે પૂ. કોઠારી સ્વામી સહિતના સંતો અને હરિભક્તોએ ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું હતું. તમામ 104 યાત્રીઓને પૂજ્ય કોઠારી સ્વામીએ પુષ્પ હાર પહેરાવી વધાવ્યા હતા. પૂજ્ય ભક્તિ પ્રકાશ સ્વામી અને પૂજ્ય અચલ મુનિ સ્વામી કે જેઓ આ સમગ્ર યાત્રામાં સાથે રહ્યા હતા. તેઓએ સમગ્ર યાત્રામાં મહાનુભાવોએ સન્માન્યા હતા તે વર્ણન કર્યા બાદ માર્ગમાં દરેક સ્થળોએ યુવાનોએ વ્યસન મુક્તિ તથા સદાચારની ગામે ગામ પ્રેરણા પૂરી પાડી હતી તે જણાવ્યું હતું. યાત્રાના માર્ગમાં દરેક સ્થળોએ યુવાનોએ વ્યસન મુક્તિ તથા સદાચારની ગામેગામ પ્રેરણા પૂરી પાડી જબલપુરથી વડોદરા સુધીની 920 કિમીની પદયાત્રા પૂર્ણ કરીબીએપીએસ સંસ્થા દ્વારા જણાવ્યા મુજબ પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતી નિમિત્તે ત્યાંથી દર્શન કરી મહંત સ્વામીના જન્મ સ્થળ વચ્ચે 920 કિ.મી.ની પદયાત્રા યોજાઈ હતી. મહંત સ્વામીની 2 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવનાર જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે આ પદયાત્રા યોજાઈ હતી.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 6:26 am

કલરીપયટ્ટુ પરિચય કોર્સનું આયોજન કરાયું:કેરલાની પ્રાચીન યુદ્ધ કલા કલરીપયટ્ટુ પ્રથમ વખત વડોદરામાં શીખવાડાઈ

વર્લ્ડ કલરીપયટ્ટુ ફેડરેશન દ્વારા શનિવાર અને રવિવારે વડોદરાના બરોડા કેરળ સમાજમાં હોલ ખાતે બે દિવસીય કલરીપયટ્ટુ પરિચય કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની અધ્યક્ષતા બરોડા કેરળ સમાજમના પ્રમુખ મોહન નાયરે કરી હતી. ક્લાસનું માર્ગદર્શન પ્રખ્યાત ગુરુ વી.વી.ક્રિસ્ટો ગુરુક્કલ તથા તેમની પ્રશિક્ષક ટીમે આપ્યું, જેઓએ ભાગ લેનારાઓને કેરળની પરંપરાગત યુદ્ધકલા કલરીપયટ્ટુના વિવિધ મૂળભૂત તત્ત્વો સાથે પરિચિત કર્યા. કાર્યક્રમ માટે સુવિધા ઉપલબ્ધ કરવાનો આભાર માનતાં મોહન નાયરનું સન્માન કરવામાં આવ્યું હતું. સિસટર લૂસી જોસેફે પણ આ સફળ આયોજનની પ્રશંસા કરી. કોર્સ પૂર્ણ કરનારા લોકોને પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા. કેરલા સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કરાટેની સમકક્ષ આ યુદ્ધ કલા સમગ્ર ભારતમાં શીખવાડવામાં આવશે જેને પગલે ગુજરાતમાં વડોદરાથી પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તબક્કે બે દિવસના પરિચય કોર્સમાં યલો બેલ્ટ આપવામાં આવતો હોય છે જ્યારે સંપૂર્ણ કલા શીખી ગયા બાદ રેડ બિલ્ડ આપવામાં આવે છે. આઠ લોકોએ પ્રાથમિક તબક્કે આ ટ્રેનિંગ લીધી હતી, જેમાં તમામ ગુજરાતી લોકો હતા આ લોકો આગળના સમયમાં અન્ય લોકોને ટ્રેઇન કરશે. કલરીપયટ્ટુ યુદ્ધ કલા શું છે? એક જિલ્લામાં 12 જગ્યાએ ક્લાસ શરૂ થશેગુજરાત અને સમગ્ર ભારતમાં આ કલા શીખવવા માટે કેરલાની કલા હોવાથી સમાજ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. એક જિલ્લામાં 12 જગ્યાએ આ ક્લાસ શરૂ કરવામાં આવશે. યોગાની સમકક્ષ આ લોકોને ટ્રેન કરાશે. યુદ્ધ નહીં પરંતુ આ ફિઝિકલી પણ ફીટ રહેવા માટેનો એક આયામ છે. > સુરેશ પાલનેલ, પૂર્વ ઉપપ્રમુખ કેરલા સમાજ

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 6:24 am

મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન:યા મસ્તાનબાવા દરગાહ કમિટી દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

યા મસ્તાન બાવા દરગાહ કમિટીના હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુ તથા પારૂલ હોસ્પિટલ રાવપુરા, વડોદરા તથા મીરા ક્લિનીક તરફ જરૂરીયાતમંદ લોકો માટે ફ્રી-મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં આંખની તપાસ, ડાયાબિટીસની તપાસ, ફિજિયોથેરાપીસ્ટ, આયુર્વેદિક તપાસ, નાના બાળકોના સ્વાસ્થ્યની તપાસ અને સારવાર કરવામાં આવી અને ફ્રી દવા પણ આપવામાં આવી. ખાસ કરીને આંખની તપાસમાં મોતીયાનું ચેકઅપ કરી જરૂરીયાત મંદને ફ્રીમાં મોતીયાનું ઓપરેશન માટેનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. સ્ત્રીઓ માટે ગાયનેક-ચેકઅપ કરીની જરૂરીયાત પ્રમાણે ફ્રી સોનોગ્રાફીનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું. આ કેમ્પમાં દરેક ધર્મના જરૂરીયાતમંદ 200થી પણ વધુ લોકો એ સેવાનો લાભ લીધો. મસ્તાન બાવા દરગાહ, જુનીગઢી, યાકુતપુરા ખાતે કેમ્પ યોજાયો હતો.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 6:23 am

વેધર રિપોર્ટ:મધ્યપ્રદેશના કોલ્ડવેવની અસર શહેરમાં ઠંડીનો પારો 13 ડિગ્રી થયો

મધ્યપ્રદેશમાં કોલ્ડવેવથી વડોદરા 13 ડિગ્રી સાથે ઠંડુંગાર બન્યું છે. આમ ડિસેમ્બરમાં સોમવારનો દિવસ સિઝનનો સૌથી ઠંડો દિવસ બન્યો છે. જ્યારે 15 ડિસેમ્બર બાદ ઠંડી વધે તેવી સંભાવના છે. આગામી પખવાડિયામાં પારો 10 ડિગ્રી સુધી પહોંચે તેવી આગાહી હવામાન શાસ્ત્રીઓએ કરી છે. જ્યારે વડોદરાથી 15 કિમી દૂર સિંધરોટ સ્થિત ગુજરાત નેચર કન્ઝર્વેશન સોસાયટીના મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટના મશીનમાં 11.24 ડિગ્રી પારો નોંધાયો હતો. આમ વડોદરાથી 1.76 ડિગ્રી પારો ઓછો નોંધાયો હતો. શહેરમાં મંગળવારે મહત્તમ પારો 30.8 ડિગ્રી અને લઘુતમ પારો 13 ડિગ્રી નોંધાયો હતો. ભેજ સવારે 73 ટકા અને સાંજે 33 ટકા નોંધાયો હતો. નોર્થ-નોર્થ-ઈસ્ટની દિશાથી 6 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા. નોંધનીય છે કે, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ભૂમધ્ય સમુદ્ર તરફથી ભારતની ઉત્તરે આવતા પશ્ચિમી વિક્ષોભને લઈ હિમાલય પર્વત પર હિમવર્ષા થાય છે અને ઉત્તર તરફના ઠંડા પવનો ઠંડીમાં વધારો કરશે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 6:22 am

હવાઈ આપદા:ઇન્ડિગોની 4 ફ્લાઇટ રદ, એનઆરઆઇ ટેક્સી દ્વારા લાંબી મુસાફરી કરવા મજબૂર

ઈન્ડિગોએ સોમવારે વડોદરાની વધુ 4 ફ્લાઈટ રદ કરી હતી. મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ રદ થતાં મુસાફરોને હાલાકી પડી હતી. ખાસ કરીને એનઆરઆઈ સિઝન હોવાથી 15 દિવસ કે 1 મહિના માટે આવેલા એનઆરઆઈ અટવાયા હોવાનું ટ્રાવેલ્સ એજન્ટો પાસેથી જાણવા મળ્યું હતું. ટૂંકા સમયમાં સામાજિક પ્રસંગ, સ્વજનોને મળવા અને ધર્મ સ્થળે દર્શન માટે જવા સહિતનાં આયોજનો ફ્લાઇટ રદ થતાં ખોરવાયાં છે. બીજી તરફ એરપોર્ટ પર ઇન્ડિગોની બુકિંગ વિન્ડો પર મુસાફરોની કતારો જણાઈ નહોતી. બીજી તરફ વડોદરાથી દિલ્હી માટે એર ઇન્ડિયા દ્વારા વધારાની ફ્લાઈટ ચલાવાઈ હતી. અમે 12 કલાક સુધી મુંબઈ એરપોર્ટ પર અટવાયા હતાહું અમિતનગર પાસે રહું છું. અમેરિકાથી 6 તારીખે મુંબઈ આવ્યો, પણ ફ્લાઈટ રદ થતાં 12 કલાક અટવાયો હતો. વંદે ભારતમાં વડોદરા આવ્યો. અહીંના અન્ય પ્રસંગોમાં પણ શિડ્યૂલ ખોરવાશે. > સંકેત પટેલ, વડોદરા ત્રણ ઘણો ભાવ વધારો આપીને વિવિધ સ્થળે જવું પડે છેન્યૂયોર્કથી આવેલા સ્વજનો અટવાયા છે. ત્રણ ઘણો ભાવ વધારો આપી તેઓ વિવિધ જગ્યાએ જઈ રહ્યા છે. ફ્લાઇટ રદ થતાં ટેક્સી સહિતનાં વાહનોથી મુસાફરી કરવા મજબૂર બન્યા છે. > રાજેશ પંડ્યા, કારેલીબાગ

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 6:22 am

વિફરેલા રહીશોએ તંત્ર સામે ખોલ્યું ત્રીજું નેત્ર:છાણી-બાજવા તરફ 24 મીટરનો રોડ 40 વર્ષથી ન બનતાં રહીશો વિફર્યા,ચક્કાજામ કરીને વિરોધ

છાણીથી બાજવા તરફના 24 મીટરનો રોડ 40 વર્ષથી ન બનાવ્યો હોવાની ફરિયાદ સાથે સ્થાનિક લોકોએ ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો. એક સપ્તાહમાં રોડની કામગીરી શરૂ નહીં કરાય તો ફરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ એક સપ્તાહમાં ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ થશે તેવી બાંહેધરી મળી છે. છાણી અર્બન હેલ્થ સેન્ટરથી ભાથુજીનગર, બાજવા અંડરપાસ સુધી પાલિકાએ 24 મીટરનો આરસીસી રોડ બનાવ્યો છે. જોકે અંડરપાસથી બાજવા રેલવે બ્રિજ સુધી 40 વર્ષથી રોડ બનાવ્યો ન હોવાની ફરિયાદ સાથે રવિવારે રાતે લોકોએ ભારદારી વાહનોને રોકી ચક્કાજામ કર્યો હતો. સ્થાનિક રહીશોની ફરિયાદ હતી કે, માલધારી વાહનોથી ભારે પરેશાની થઈ રહી છે. ધારાસભ્ય, કાઉન્સિલર અને કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી. આખરે ભાજપના સ્થાનિક અગ્રણીઓએ એક સપ્તાહમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે તેવી બાંહેધરી આપી છે. જોકે એક સપ્તાહ પછી કામ શરૂ નહીં થાય તો ફરી આંદોલન કરાશે, તેવી રહીશોએ ચીમકી આપી હતી. રવિવારે રાત્રે ચક્કાજામ બાદ સોમવારે બપોરે લોકો એકત્ર થતાં પોલીસ દોડતી થઈ હતી અને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. ખરાબ રોડથી વારંવાર અકસ્માત સર્જાય છેરોજ ભારદારી વાહનો પસાર થતા હોવાથી વારંવાર અકસ્માત થાય છે. ગયા મહિને કલેક્ટરને આવેદન આપી ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરી છે. કામગીરી શરૂ નહીં થાય તો ફરીથી આંદોલન કરીશું. > દર્પણ રાઠોડ, સ્થાનિક રહીશ આ કોંગ્રેસનું ગામ છે એટલે ભેદભાવ કરે છેબાજવા પંચાયતમાં આ રોડ આવે છે. 40 વર્ષથી રોડની આ જ સ્થિતિ છે.7 વર્ષે તો બ્રિજ બન્યો છે, પણ સરકાર 2 કિમી જેટલો રોડ બનાવી શકતી નથી. આ કોંગ્રેસનું ગામ છે એટલે ભેદભાવ કરાય છે, તેવું લાગે છે. > કરસનભાઈ ચાવડા, સ્થાનિક રહીશ ભાસ્કર ઇનસાઇડ6 મીટરનો રોડ બનાવાતાં લોકોએ રોકાવી 24 મીટરની માગ કરી હતીછાણી અંડરપાસ થઈ ઉંડેરા 2 એટલે કે બાજવા બ્રિજ તરફ 2 કિમીનો રોડ બનાવવા પાલિકાએ કામગીરી શરૂ કરી હતી. 6 મીટરના ટીપી રોડ પર રોડની કામગીરી શરૂ કરતાં સ્થાનિક લોકોએ વિરોધ કરી 24 મીટરનો રોડ બનાવવા રજૂઆત કરી કામ રોકાવ્યું હતું. આ રોડ પરથી ભારદારી વાહનો પસાર થતાં હોવાથી ડામર રોડ તૂટી જશે, જેથી આરસીસી રોડ બનાવી આપવામાં આવે. સ્થાનિક લોકોને સાંભળ્યા બાદ પાલિકાએ 18 મીટરનો રોડ બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે. અગાઉ 6 મીટરના રોડનું 1.50 કરોડનું એસ્ટિમેટ રિવાઇઝ કરાશે અને આરસીસી રોડની કિંમત અંદાજે 10 કરોડથી વધુ થતી હોવાથી ગ્રાન્ટ માટે જોગવાઈ કરાશે. ભવિષ્યમાં પાણી અને ડ્રેનેજ કનેક્શન નાખ્યા બાદ 24 મીટરનો રોડ બનાવાશે તેવી ખાતરી આપી છે. આગામી દિવસોમાં ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ થશે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 6:20 am

ભાસ્કર એક્સક્લુસિવ:સેવાસી પાસે 75 મીટર રિંગ રોડ પર અંડર પાસ બનશે, 20 હજાર લોકોને ફાયદો થશે

શહેરની ફરતે 75 મીટરના રિંગ રોડ બનાવવાની કામગીરી દરમિયાન સેવાસી નજીક અંડર પાસ બનાવવાનું નક્કી કરાયું છે. જ્યાંથી ગોત્રીથી સેવાસી તરફ જતા રોજનાં 20 હજારથી વધુ વાહનોને ટ્રાફિક જામથી રાહત થશે. 75 મીટરના રિંગ રોડ પર પર સેવાસી નજીક ક્રોસિંગ દરમિયાન સર્કલ બનાવવાથી ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવશે, જેને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા શહેરની ફરતે 75 મીટરના રિંગ રોડ બનાવવાની કામગીરી હાથમાં લીધી છે. જેમાં પ્રથમ તબક્કામાં કોયલીથી ચાપડ સુધી 17 કિલોમીટરના રિંગ રોડનું કામ પૂર્ણ થવાના આરે છે. બીજી તરફ આજવા રોડથી ડભોઇ રોડ સુધી રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. હવે ગોત્રી-સેવાસી રોડ પર 75 મીટરનો રિંગ રોડ સેવાસી નજીક ક્રોસ થાય છે. જ્યાં સર્કલ કે ક્રોસિંગ મૂકવાથી ટ્રાફિક જામ થવાની સમસ્યા ઉદ્ભવશે. જેનો ઉકેલ લાવવા વુડાએ ક્રોસિંગ પર અંડર પાસ બનાવવાનું નક્કી કર્યું છે. એક તરફ 75 મીટરના રિંગ રોડ પર વાહનોની અવર-જવર હશે તેવામાં ગોત્રી-સેવાસી-સિંધરોટ તરફ અવર-જવર કરતાં 20 હજારથી વધુ લોકોને સુવિધા મળશે. ટ્રાફિક સિગ્નલ નહીં મૂકવાં પડે, 6 લેન અંડર પાસ બનશે, 1 વર્ષમાં કામગીરી પૂર્ણ થવાનો અંદાજ75 મીટરના રિંગ રોડથી ગોત્રી-સેવાસી રોડ ક્રોસ થશે. જો અહીંયાં સર્કલ બનાવવામાં આવે તો સાથે ટ્રાફિક સિગ્નલ પણ મૂકવાં પડે. જેને કારણે ચારે તરફનાં વાહનોના ઇંધણનો અને વાહન ચાલકોના સમયનો વેડફાટ થાય તેમ છે. જેથી અંડર પાસ બનાવવાથી આ સમસ્યાનો નિકાલ આવશે. બીજી તરફ વાહનો સરળતાથી પસાર થઈ શકે તે માટે બંને તરફ 3-3 લેનના રોડ બનાવાશે. ડિસેમ્બર 2026 સુધીમાં અંડર પાસ બનાવવાની કામગીરી પૂર્ણ થવાનો અંદાજ છે. કોયલીથી ચાપડ સુધીના રોડ પર ગોત્રીથી સેવાસી તરફ જતો પહેલો અંડર પાસ હશે. 75 મીટરનો રિંગ રોડ 3 સ્ટેટ હાઈવે સાથે જોડાશે, શહેરનાં વાહનો એક્સપ્રેસ વે પર જઈ શકશે75 મીટરના પહેલા તબક્કાનો કોયલીથી ચાપડ સુધીનો 17 કિલોમીટરનો રોડ 3 સ્ટેટ હાઇવે સાથે જોડાશે. જેમાં ગોત્રી-સેવાસી રોડ, વડોદરાથી પાદરા રોડ અને ઉંડેરા-કોયલી-શેરખી રોડનો સમાવેશ થાય છે. તદુપરાંત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો એન્ટ્રી પોઇન્ટ પાદરાના સમિયાલા રોડ પર હોવાથી શહેરના ઇન્ટર્નલ રોડ પરનો ટ્રાફિક રિંગ રોડ થઈ એક્સપ્રેસ વે સાથે જોડાશે, જેનાથી ટ્રાફિકનું ભારણ ઘટશે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 6:13 am

ઘટસ્ફોટ:આજવા-નિમેટા આખી લાઇન જોડાઈ પણ પ્લાન્ટ પાસે બાકી,7 MLD વધુ પાણી માટે 1 મહિનો થશે

નિમેટાથી આજવા સુધી લાઈનનું જોડાણ કર્યા બાદ 7 MLD પાણી મળશે તેવી જાહેરાત કરાઈ હતી. જોકે નિમેટા પ્લાન્ટ પાસે લાઇન જોડાણ બાકી હોવાનું સપાટી પર આવતાં કાઉન્સિલરે અધિકારીઓની બેદરકારીના આક્ષેપ કરી અતાપીમાં લાઇન નાખવાનું કામ ચાલતું હતું ત્યારે કેમ જોડાણ ન કર્યું તેવા પ્રશ્ન ઉઠાવ્યા હતા. શહેરના પૂર્વ વિસ્તારને પ્રેશરથી પાણી મળે તે માટે નિમેટામાં ડબ્લ્યુટીપી બનાવાઈ રહ્યો છે. તાજેતરમાં પાલિકાએ 25થી 27 નવેમ્બર શટ ડાઉન લઈ નિમેટા ડબ્લ્યુટીપીથી આજવા તરફની લાઈનનું જોડાણ કર્યું હતું. તે સમયે પૂર્વ વિસ્તારને 5થી 7 એમએલડીની પાણી મળશે તેવી જાહેરાત કરાઈ હતી. વોર્ડ 15ના કાઉન્સિલર આશિષ જોષીએ સ્થળ વિઝિટ કરી નિમેટા પ્લાન્ટ પાસે લાઈનનું જોડાણ બાકી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. તેઓએ કહ્યું કે, અધિકારીઓએ બેદરકારી દાખવી છે. જે સમયે અતાપીમાં લાઇન નાખવાનું ચાલતું હોય ત્યારે જોડાણ કરવાનું હતું, જે કર્યું નથી. ડિસેમ્બરમાં પાણી મળે તેવી શક્યતા નથી. બીજી તરફ પાણીના કોન્ટ્રાક્ટરે કાઉન્સિલરને મેસેજ કરી કહ્યું કે, સરદાર એસ્ટેટ ટાંકી પર બહાર દીવાલનું બાંધકામ ચાલે છે, જેથી વાલ્વ બંધ છે. કારેલીબાગ ટાંકીથી પાણી ભરવાનું ના કહ્યું છે અને નાલંદા-સયાજીપુરા ટાંકી પર ટેન્કરની લાઈનો છે. જેથી ટેન્કર વિલંબથી મળશે. જોકે પાણી પુરવઠા વિભાગે કહ્યું કે, તે કોન્ટ્રાક્ટર અને કાઉન્સિલરનો સંવાદ હશે.અમને જાણકારી નથી. ભાસ્કર નોલેજ1524 મિમી લાઇનની સફાઈ કરતાં 10 દિવસનો સમય થશેપાણી પુરવઠા વિભાગના જણાવ્યા મુજબ 25 થી 27મી સુધી શટડાઉન બાદ લાઇનનું જોડાણ પૂર્ણ કરાયું હતું. આજવાથી નિમેટા સુધીની લાઈનમાં શુદ્ધ પાણી આવે તે માટે સફાઈ કરવા નિમેટામાં લાઈનનું ગેપ ક્લોઝિંગ બાકી રખાયું છે. શટ ડાઉન બાદ ટાંકી પર પાણીનું લેવલ મેન્ટેન કરવા 1 સપ્તાહ લાગ્યું છે. લાઈનની સફાઈ માટે 10 દિવસ થશે, જેથી શટડાઉન લેવું પડશે. જેથી નિમેટા ડબ્લ્યુટીપીની ઈલેક્ટ્રિકલ-મિકેનિકલ કામગીરીને 1 મહિનો થશે. પ્લાન્ટ તૈયાર થાય તેના 1 સપ્તાહ પૂર્વે સફાઈ કામ કરાશે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 6:07 am

પુત્રવધુ સાથે ઝઘડા બાદ સાસુનું રહસ્યમય મર્ડર:ઘરનો દરવાજો-લાઇટ બંધ, કપડા સળગેલા, માથામાં ઊંડો ઘા; બેડરૂમમાં સંતાયેલી વહુએ કહ્યું- કોઈ અજાણ્યો માણસ આવ્યો હતો

આજથી પાંચ વર્ષ પહેલાં કોરોના મહામારીના ભયંકર સમયમાં અમદાવાદના ગોતા વિસ્તારમાં આઘાતજનક ઘટના બની હતી. જેણે ઘણા લોકોને ધર્મસંકટમાં મૂકી દીધા હતા. એક એવો હત્યાકાંડ જેમાં ખરેખર આરોપી કોણ છે અને પીડિત કોણ છે? તે નક્કી કરવું મુશ્કેલ બની ગયું હતું. ગુજરાત પોલીસની ‘ક્રાઇમ ફાઇલ્સ’માં નોંધાયેલો આ કેસ માત્ર સાસુ-વહુના ઝઘડા પુરતો સિમિત ન હતો. પરંતુ ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર એટલે કે OCD નામના માનસિક રોગથી પીડિત વ્યક્તિનું જીવન કેવું હોય છે? તેની સાથે રહેતા લોકો સમજદારી ન દાખવો તો તેના કેવા પરિણામો આવી શકે છે? તેનું એક ગંભીર અને દુ:ખદ ઉદાહરણ બન્યું. અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા ગોતામાં આવેલી એક સોસાયટીમાં દીપક અગ્રવાલનું ઘર હતું. ઉંમર ૩૦ વર્ષ, દીપક દેખાવમાં પણ સારો અને પણ મહેનતુ પણ ખરો. ભણતર પૂરું કરીને તે તરત જ પિતાના ગ્રેનાઇટના ધંધામાં જોડાઈ ગયો હતો. પિતાએ એક ભાગીદાર સાથે મળીને જમાવેલા ધંધાને દીપકે કુશળતાથી રફ્તાર આપી અને સારી એવી આવક થવા લાગી. જીવન એકદમ સફળતાના ટ્રેક પર દોડી રહ્યું હતું. હત્યાની ઘટના બની તેના લગભગ દસેક મહિના પહેલાં દીપકના જીવનમાં એક રૂડો અવસર આવ્યો હતો. રાજસ્થાનના બ્યાવરમાં રહેતી અને MBAનો અભ્યાસ કરેલી નિકિતા સાથે તેના લગ્ન થયા. દીપકે તેને પ્રેમથી નાયરા કહીને બોલાવતો હતો. નાયરા પોતાની આંખોમાં સુંદર ભવિષ્યના સપના લઈને અમદાવાદમાં દીપકના પરિવાર સાથે રહેવા લાગી. પતિ-પત્ની હજી તો તેમનું નવું જીવન શરૂ કરવાની તૈયારી જ કરી હતી ત્યાં જ ઘરની ખુશી અને શાંતિમાં તિરાડ પડવાની શરૂઆત થઈ. દીપકની માતા રેખાબેન અને પત્ની નાયરા વચ્ચે ખટરાગ વધવા લાગ્યો. ઘરમાં સાફસફાઈ અને વસ્તુઓ ગોઠવવા બાબતે ટકોર કરતા રહેતા હતા.શરૂઆતમાં વાત ખૂબ સામાન્ય મુદ્દે બોલાચાલી થતી. સાસુ રેખાબેન કહેતા, “નાયરા, આ ડાઇનિંગ ટેબલ પરના ગ્લાસ તેં બરાબર વચ્ચે કેમ નથી મૂક્યા? પેલા ખૂણામાં મૂકેલી વસ્તુઓ મને જરાય ગમતી નથી અને તારા માથાના વાળ તો જો… આખા ઘરમાં પડે છે.” નાયરાને રેખાબેનનો અવાજ હવે સાસુ માની ખાટી-મીઠી ટકોરને બદલે કોઈ અધિકારી તેની હાથ નીચેના કર્મચારીને આદેશ આપતો હોય એવો લાગતો હતો. “મમ્મી, હું ભૂલી ગઈ. હું હમણાં જ બધુ સરખું કરી દઉં છું” નાયરા કચવાતા મને શક્ય હોય એટલા ટૂંકા જવાબ આપતી. સમય જતાં તેમની આ આદત એક માનસિક બીમારી OCDનું સ્વરૂપ લઈ ચૂકી હતી. રોજેરોજની ટકોર ઝઘડામાં ફેરવાતી ગઈ. પ્લેટ ક્યાં મૂકવી, સફાઈ ક્યારે કરવી, કયા ખૂણાની વસ્તુને કેટલી વાર લૂછવી…. આવી નાની બાબતોને લઈને દસ મહિનામાં તો ઘરમાં સતત તણાવનું વાતાવરણ બની ગયું હતું. ભવ્ય ભવિષ્યના સપના લઈને નાયરા જે ઘરમાં આવી હતી એ ઘર હવે તેને જેલ જેવું લાગવા લાગ્યું હતું. એક તરફ અગ્રવાલ પરિવારમાં તણાવ વધતો જઈ રહ્યો હતો, એ જ સમયગાળામાં કોરોનાની બીમારીએ આખી દુનિયાને ભરડામાં લીધી. અમદાવાદમાં પણ ઘણા કેસ નોંધાયા. કોરોનાની બીજી લહેર સમયે દીપકના પિતાને પણ આ બીમારીનો ચેપ લાગ્યો. 24 ઓક્ટોબર, 2020ના રોજ તેમની તબીયત ખરાબ થઈ અને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. પરિવારમાંથી કોઈને હોસ્પિટલમાં રોકાવવાની પરવાનગી ન હતી. એટલે દીપક, તેની પત્ની અને માતા ઘરમાં હતા. દીપક દોડા-દોડી કરીને ધંધો સંભાળતો હતો. આવા કપરા સમયમાં પણ સાસુ-વહુ વચ્ચેની માથાકૂટ જરાય ઓછી નહોતી થઈ. હત્યાકાંડના દિવસે દીપક પોતાના રૂટિન પ્રમાણે પોતાની ઓફિસ ગયો હતો. રાત્રે આઠ વાગ્યે ઓફિસેથી નીકળી અને સીધો જ ચાણક્યપુરી બ્રિજ નીચે આવેલા હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયો. દીપક મનોમન પિતાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો હતો અને પોતાના ઘરમાં થોડી શાંતિ મળે તેવી પણ આજીજી કરી રહ્યો હતો. આ જ સમયે તેના ખિસ્સામાં મૂકેલા મોબાઈલ ફોનની રિંગ વાગી. સ્ક્રીન પર જોયું તો લખ્યું હતું 'PAPA’ પિતા હોસ્પિટલે એડમિટ હતા અને ત્યાંથી ફોન આવ્યો એટલે ફોન ઉપડતા પહેલાં જ દીપકને ચિંતા થવા લાગી. દીપકે તરત જ ફોન ઉઠાવ્યો. પિતાના ધીમા, થાકેલા અને ગભરાયેલા અવાજે બોલ્યા, “બેટા... દીપક! તું ક્યાં છે?” “પપ્પા, હું હમણાં મંદિરે દર્શન કરીને નીકળું છું. બધું બરાબર છે ને?” દીપકે ચિંતા સાથે પૂછ્યું. પિતાએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, “બેટા, મારા પર સોસાયટીમાંથી ફોન આવ્યો હતો. તારી મમ્મી અને તારી પત્ની વચ્ચે ફરી કઈક થયું છે. બહુ મોટે મોટેથી ઝઘડાના અવાજ આવે છે. મેં ફોન પર સાંભળ્યું. સોસાયટીવાળા પોલીસ બોલાવવાની વાત કરે છે. તું જલ્દી ઘરે જા. બધું શાંત કર.” આ સાંભળીને દીપકના પગ નીચેથી જાણેકે જમીન સરકી ગઈ. પિતાના ગભરાયેલા અવાજે દીપકને ધ્રૂજાવી મૂક્યો. ક્ષણિક તો તેને ખબર જ ન પડી કે શું કરવું. કોઈક રીતે તેણે પોતાની જાતને સંભાળી અને મંદિરની સીડીઓ પરથી લગભગ દોડવા લાગ્યો. મનમાં સવાલ ઉઠ્યા,જો સોસાયટીવાળા પોલીસને બોલાવવાની વાત કરતા હોય તો ઘટના કેટલી ગંભીર બની હશે? એક્ટિવા પર બેસતાં જ તેણે મમ્મી રેખાબેનને ફોન લગાવ્યો. સામેથી ફોન ઉપડ્યો, પણ અવાજ રેખાબેનનો નહોતો. ફોન નાયરાએ રિસિવ કર્યો અને “હલ્લો” બોલી… અવાજમાં ધ્રુજારી અનુભવાતી હતી. “શું થયું છે? આવો અવાજ કેમ છે?” દીપકે હાંફતા-હાંફતા સવાલ કર્યો. નાયરા ગુસ્સે થઈ ગઈ, અવાજ ઊંચો થયો. “શું થયું છે એમ પૂછો છો? મમ્મીજી... મમ્મીજી મને મારે છે. અમારા બંને વચ્ચે મારપીટ થઈ છે. હું ગમે તેમ કરીને મારા રૂમમાં આવી ગઈ છું. હવે મને એકલી રહેવા દો!” નાયરાએ બસ આટલી જ વાત કરી અને તરત જ ફોન કાપી નાખ્યો. દીપક સ્તબ્ધ થઈ ગયો. 'મારપીટ?' આ શબ્દ તેના કાને જ નહીં જાણે મગજ પર પણ જોરથી અથડાયો. ઝઘડા તો થતા હતા એ વાત તો દીપકથી છાની ન હતી પણ વાત મારપીટ સુધી પહોંચી જશે એની તેણે કલ્પના પણ નહોતી કરી. તેની ચિંતા હવે ગુસ્સામાં ફેરવાઈ રહી હતી. તેણે ફરી એકવાર ફોન કરીને શું બન્યું છે એ જાણવાનો પ્રયાસ કર્યો. પરંંતુ રેખાબેનનો ફોન હવે કોઈએ ઉપાડ્યો નહીં. દીપકે તરત જ પત્ની નાયરાના નંબર પર કોલ કર્યો. એ ફોન પણ કોઈએ ન ઉપડ્યો. દીપકનું માથું ભમવા લાગ્યું. બેમાંથી એક પણ વ્યક્તિ ફોન કેમ નથી ઉપાડી રહ્યું? શું બન્યું હશે? આવા વિચારોનો વંટોળ મગજ પર હાવી થઈ રહ્યો હતો. સમય બગાડ્યા વિના તેણે એક્ટિવા સ્ટાર્ટ કરી અને ફૂલ સ્પીડમાં ઘરે જવા નીકળ્યો. 20 મિનિટનો રસ્તો તેને દરરોજ કરતાં આજે ઘણો લાંબો લાગ્યો. દરેક સિગ્નલ પર તેની ધીરજ ખૂટી રહી હતી. આખરે લગભગ સાડા આઠની આસપાસ તે સાસાયટીના ગેટ સામે પહોંચ્યો. લોકોનું ટોળુ સોસાયટીમાં હજુ પણ ઉભેલું હતું. દીપકે એક્ટિવા ગમે તેમ પાર્ક કર્યું અને ઘર તરફ દોટ મૂકી. દોડીને પહેલા માળે આવેલા પોતાના ફ્લેટ નંબર 103ના દરવાજે પહોંચી ગયો. દરવાજો બંધ હતો અને અંદરથી કાંઈ જ અવાજ નહોતો આવી રહ્યો. તેણે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પણ ન ખૂલ્યો. પહેલા હળવેથી દરવાજો ખખડાવ્યો, પછી જોરથી હાથ પછાડવા લાગ્યો. “મમ્મી… નાયરા… દરવાજો ખોલો. હું દીપક છું” ઘરમાં જ નહીં આખી સોસાયટીમાં શાંતિ હતી અને તમામ લોકો દીપકની ગતિવિધિ જોઈ રહ્યા હતા. તેના અવાજનો પડઘો ગૂંજી રહ્યો હતો. જો કે ઘરની અંદરથી કોઈ અવાજ નહોતો. આ સન્નાટો દીપકની ચિંતા વધારી રહ્યો હતો. તે હાંફળો-ફાંફળો બની ગયો અને નાયરાને ફોન કર્યો. આ વખતે લાંબી રિંગ વાગી અને આખરે નાયરાએ ફોન ઉપાડ્યો. “નાયરા, દરવાજો તો ખોલ. હું ક્યારનોય બહાર ઊભો છું અને બૂમો પાડુ છું” દીપકે એકદમ ગુસ્સામાં કહ્યું. સામે છેડેથી નાયરાએ ધ્રૂજારી ભર્યા અવાજે જવાબ આપ્યો, “મારા બેડરૂમનો દરવાજો ખૂલતો નથી.” દીપકે કહ્યું, “આ શું બકવાસ કરે છે? તાકાત લગાવ અને દરવાજો ખોલી નાખ. જલ્દી કર. હવે બહુ થયું” “મારાથી દરવાજો ખૂલતો નથી” નાયરા એક જ વાક્યનું રટણ કરલા લાગી. “તાકાત લગાવું છું, પણ દરવાજો ખૂલતો નથી.” એકની એક વાત સાંભળીને દીપકે નાયરા સાથે વાત કરવાનું છોડી દીધું અને તરત જ મમ્મી રેખાબેનને ફોન લગાવ્યો. પરંતુ ફોન રિસીવ ન થયો. દીપકને હવે સમજાઈ ગયું કે સીધી રીતે દરવાજો નહીં ખૂલે. તેના મગજમાં એક આઇડિયા આવ્યો અને ફરી એકવાર દોડ મૂકી. પગથિયા ઉતરીને સોસાયટીના કમ્પાઉન્ડમાં આવી ગયો. તે સામેના બ્લોકના પગથિયા ચડ્યો અને પહેલા માળે પહોંચી ગયો. ત્યાંથી પોતાના ઘરના બેડરૂમની બારીમાં જોવાનો પ્રયાસ કર્યો. પણ પડદા બંધ હતા. એટલે જ ફ્લેટ નંબર 103નું રહસ્ય વધુ ગૂંચવાતું હોય એમ લાગ્યું. દીપકને લાગ્યું કે અહીં ઉભા રહેવાથી કોઈ ફાયદો નથી. તે હાંફળો-ફાંફળો થઈને ફરી સોસાયટીના કમ્પાઉન્ડમાં આવ્યો. અચાનક તેની નજર એક બાજુ મૂકેલી લાંબી સીડી પર પડી. કોઈની પણ મદદ લીધા વગર તરત એ નીસરણી ઉપાડી અને દોડીને પોતાના ઘરના રસોડા બાજુ લઈ ગયો. રસોડાના પાછળના ભાગમાં એક નાનકડી ગેલેરી હતી. તેણે ભારે નીરસણી માંડ-માંડ ગોઠવી, લપસી ન જાય તેની ખાતરી કરી અને ઝડપથી પગથિયા ચડ્યો. તેના મગજમાં માત્ર એક જ વાત ચાલતી હતી કે કોઈપણ રીતે ઘરની અંદર ઘૂસી જવું. રસોડાની ગેલેરીની બારીના સળિયામાંથી તેણે માંડ-માંડ હાથ અંદર નાખ્યો. અંધારામાં હાથ આમ-તેમ ફેરવીને બારીની સ્ટોપર શોધી અને બારી ખૂલી ગઈ. તેણે બારીમાંથી ઘરમાં છલાંગ લગાવી. હનુમાનજીના મંદિરથી નીકળ્યા પછી હવે સાડા અગિયાર વાગી ગયા હતા. લગભગ ત્રણ કલાકનો સમય વીગી ગયો હતો. ત્યારે માંડ ઘરની અંદર ઘૂસવાનો મેળ પડ્યો. રસોડામાં અંધારું હતું, દીપક કાંઈ વધારે જોઈ શકતો ન હતો. પણ તેણે નોંધ્યું કે તીવ્ર અને સમજણ ન પડે એવી કોઈક પ્રકારની ગંધ આવી રહી છે. પરંતુ રેખાબેન કે નિતિકામાંથી કોઈનો અવાજ નહોતો આવતો. તેના મગજમાં માત્ર એક જ સવાલ ધમધમી રહ્યો હતો, મમ્મી અને નાયરા સલામત તો હશે ને? રસોડામાંથી હોલ તરફ ગયો. રોજ ટેવાયેલી આંગળીઓએ સ્વીચબોર્ડ શોધી કાઢ્યો અને એક જ પ્રયાસમાં સ્વીચ પડી ગઈ. અજવાળું થતાં જ દીપકની નજર સામે જે દૃશ્યો આવ્યો એ કંપારી છૂટાડી દે એવા હતા. તેની માતા લોહીલુહાણ હાલતમાં જમીન પર પડી હતી. શરીરનો કેટલોક ભાગ અર્ધ-બળેલો હતો, કપડાં ઠેર-ઠેરથી ફાટી ગયા હતા. હોલના તળીયે અને આજુબાજુની દીવાલ પર માત્ર લોહી જ લોહી હતું. દીપક ફસડાઈ પડ્યો. ઘૂંટણિયે બેસીને બૂમો પાડી, “મમ્મી… ઓ મમ્મી… શું થયું આ?” તેણે રેખાબેનને ઢંઢોળીને જગાડવાનો પ્રયત્ન કર્યો પણ શરીર નિષ્પ્રાણ હતું. કોઈ હલનચલન ન હતી. નાયરાએ ફોન પર કહેલી વાત જાણે દીપકના કાનમાં ગૂંજી, “મમ્મીજી મને મારે છે. અમારા બંને વચ્ચે મારપીટ થઈ છે.” હવે દીપકના મનમાં ઝબાકો થયો, નાયરા ક્યાં છે? પોતાની માતાને ત્યાં જ છોડીને દીપક બેડરૂમ તરફ દોડ્યો. તેણે જોયું કે જે રૂમનો દરવાજો ખૂલતો ન હોવાની ફોન પર વાત કરતી હતી એ દરવાજો તો ખુલ્લો જ હતો. રૂમમાં અંદર લાઇટ ચાલુ હતી. નાયરા પલંગ પર બેઠી હતી. તેના ચહેરા પર ભય, થાક અને નિરાશા દેખાતી હતી. “નાયરા… તું અહીં છે? દરવાજો તો ખુલ્લો છે. પછી તેં મેઇન ડોર કેમ ન ખોલ્યો?” દીપકે ગુસ્સામાં પૂછ્યું. નાયરાએ રડમસ અવાજે બોલી, “ઝઘડો થયા પછી મમ્મીએ મને રૂમમાં બંધ કરી દીધી હતી. હમણાં જ કદાચ ખૂલ્યો હશે.” “ખૂલ્યો હશે? આ તે કેવો જવાબ?” દીપકે પૂછ્યું. નિકિતાએ કહ્યું, “મારા શરીરમાં વિકનેસ આવી ગઈ હતી દીપક. મારાથી દરવાજો ખૂલતો નહોતો. મેં પૂરી તાકાત લગાવી હતી.” દીપક તેની દલીલો સાંભળવા તૈયાર નહોતો. તરત ઊભો થઈ ગયો અને રૂમમાંથી બહાર નીકળતા પૂછ્યું, “મમ્મીને શું થયું છે?” નિકિતાએ પોતાની નજર નીચી કરી દીધી. ફક્ત એટલું જ કહ્યું, “મેં નથી મારી.” બસ. એ પછી નિકિતાએ મોંઢું જ ન ખોલ્યું. દીપક માટે આ જવાબ એક રહસ્ય બની ગયો. દીપક તરત જ તેની માતાના મૃતદેહ પાસે પાછો ફર્યો. ધ્યાનથી જોતાં લોહીલુહાણ મૃતદેહની બરાબર બાજુમાં લોખંડનો એક જાડો સળિયો પડેલો હતો. રેખાબેનના માથા પર ઊંડો ઘા હતો. ખોપડી ફાટી ગઈ હોવાનું સ્પષ્ટ જણાતું હતું. મોંઢું, માથું, છાતી, પેટ અને સાથળ એમ અનેક જગ્યાએ ચામડી બળી ગઈ હોવાના નિશાન હતા. દીવાલ પર લોહીના છાંટા જોઈને સ્પષ્ટ થતું હતું કે મૃત્યુ થયું એ પહેલાં એક બરાબર મારામારી થઈ હશે. આ માત્ર નાની અમથી માથાકૂટ ન હતી, એક ક્રૂર હત્યાકાંડ હતો. આ બધુ જોઈને દીપક રડવા લાગ્યો. શું કરવું એ તેને સમજણ ન પડી. પિતા હોસ્પિટલમાં હતા. એટલે તેણે પોતાના ધંધાના પાર્ટનર જિતેન્દ્ર લાલવાણીને ફોન કર્યો. ફોન પર આખો બનાવ ટૂંકમાં વર્ણવ્યો. “લાલવાણી સાહેબ, મારા મમ્મી હવે નથી રહ્યા. તમે જલ્દી આવો” દીપકે રડતા-રડતા આ વાતની જાણ કરી. જિતેન્દ્રભાઈ તરત જ દીપકના ઘરે પહોંચ્યા. તેઓ ઘરની હાલત જોઈને પરિસ્થિતિની ગંભીરતા સમજી ગયા. તરત જ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો. ડોક્ટરોની ટીમ આવી. પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. તેમના માટે રેખાબેનને મૃત જાહેર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. આ દરમિયાન કોઈક રીતે પોલીસને પણ જાણ થઈ ચૂકી હતી. ઘટનાસ્થળ પર સોલા પોલીસ સ્ટેશનનો કાફલો પહોંચી ગયો હતો. લોહીલુહાણ અને અર્ધ સળગેલી લાશ જોઈને અનુભવી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા. આ હત્યા માત્ર નાના અમથા ગુસ્સામાં આવીને થઈ હોય એવું નહોતું લાગતું. પરંતુ બદલાની ભાવનામાં આ હત્યા થઈ હોય એવું સ્પષ્ટ જણાતું હતું. પોલીસે તુરંત બનાવના સ્થળને કોર્ડન કરી દીધું. કોઈ પણ પુરાવા સાથે ચેડાં ન થાય તેની તકેદારી રાખી. તપાસનો ધમધમાટ શરૂ થયો. સૌથી પહેલાં તો નાયરા અને દીપકની સઘન પૂછપરછ શરૂ થઈ. કારણ કે બનાવ બન્યો ત્યારે નાયરા ઘરમાં જ હતી. જ્યારે દીપક ઘટનાસ્થળે પહોંચનારો સૌથી પહેલો શખસ હતો. આ ઉપરાંત સોસાયટીના પણ કેટલાક લોકોની પૂછપરછ શરૂ થઈ, જેમણે મોટે-મોટેથી ઝઘડાનો અવાજ સાંભળ્યો હતો. સોલા પોલીસ સ્ટેશનમાં નાયરા એકદમ શાંત પણ ભયભીત બેઠી હતી. ઇન્સ્પેક્ટર એક અનુભવી અધિકારી હતા. તેમણે નાયરાને સવાલો પૂછવાનું શરૂ કર્યું. ઇન્સ્પેક્ટરે જરાય આક્રમક થયા વગર કહ્યું, “તમે જરાય ગભરાશો નહીં, શું થયું તે અમને સ્પષ્ટ જણાવો. ઝઘડો ક્યારથી શરૂ થયો અને શું બાબતનો હતો?” નાયરાએ ધીમા અવાજે જવાબ આપ્યો, “સર, દરરોજની જેમ જ હતું. સામાન મૂકવા-લેવાની અને સફાઈની વાત હતી. પણ આજે વાત વધી ગઈ. મમ્મીજી... તેઓ ગુસ્સે થઈ ગયા અને મારા પર હાથ ઉપાડ્યો.” આટલું બોલીને નાયરાએ ફરી મૌન સેવી લીધું. ઇન્સ્પેક્ટરે ટૂંકો સવાલ કર્યો, “પછી શું થયું?” “તેમણે મને ધક્કો મારીને રૂમમાં ધકેલી દીધી અને બહારથી દરવાજો બંધ કરી દીધો. મેં ખોલવાનો પ્રયાસ કર્યો પણ ન ખૂલ્યો. દીપકનો ફોન આવ્યો ત્યારે પણ દરવાજો નહોતો ખૂલતો. પછી શું થયું? કોણ આવ્યું? મને ખબર નથી. હું તો અંદર બંધ હતી” નાયરાએ એ જ વાતનું રટણ કર્યું જે તેણે દીપકને કહી હતી. નાયરાના કહેવા મુજબ, રેખાબેને તેને રૂમમાં પૂરી દીધી. જો આ વાત સાચી હોય તો રેખાબેન દરવાજો બંધ કર્યો એ પછી ઘરમાં કોઈ ત્રીજી વ્યક્તિ પ્રવેશી હશે. જેણે રેખાબેનની ક્રૂરતાપૂર્વક હત્યા કરી. એક ઘરમાં 'ત્રીજી વ્યક્તિ' આવી અને હત્યા કરીને ફરાર થઈ ગઈ. આ વાત પોલીસ માટે એક મોટી ચેલેન્જ હતી. નાયરાના આ સ્ટેટમેન્ટ પરથી હવે આ કેસની તપાસને એક અલગ જ દિશા મળી. સાસુ-વહુના ઝઘડામાં ત્રીજી વ્યક્તિનો રોલ શું હતો? રેખાબેન પર ત્રીજી વ્યક્તિએ હુમલો કર્યો હોય તો તેમને બચવા માટે નાયરાને બૂમો કેમ ન પાડી? શું નાયરાએ કહેલી વાત સાચી હતી કે પછી પોલીસને તપાસ આડાપાટે ચડાવવા માટે જુઠ્ઠું બોલી હતી? ગોતાની સોસાયટીમાં આઠથી સાડા આઠ વાગ્યા દરમિયાન ખરેખરમાં શું બન્યું? આ તમામ સવાલોના જવાબ વાંચો, આવતીકાલે ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના બીજા અને અંતિમ ભાગમાં.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 6:00 am

સોનાના વધતા ભાવનો તોડ કાઢ્યો:લગ્નસરામાં હેવી જ્વેલરીને બદલે લાઇટ વેઇટનો ટ્રેન્ડ, દેખાવમાં ભવ્ય ને વજનમાં હલકાં 9-18 કેરેટનાં ઘરેણાંની ડિમાન્ડ

સુરતમાં લગ્નસરાની સિઝનમાં સોનાના આસમાને પહોંચેલા ભાવને પગલે જ્વેલરી માર્કેટમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ગ્રાહકો હવે પરંપરાગત હેવી જ્વેલરીને બદલે 'લાઈટ વેઈટ' જ્વેલરી તરફ વળી રહ્યા છે. આ ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને જ્વેલર્સે પણ તેમની ડિઝાઇન અને કેરેટની પસંદગી બદલી છે, જેમાં 18 કેરેટ અને 9 કેરેટ ગોલ્ડનો ઉપયોગ વધી રહ્યો છે, જેથી જ્વેલરી દેખાવમાં ભવ્ય અને વજનમાં હળવી રહે. ડિઝાઇન પર વિશેષ ભાર, દેખાવમાં ભવ્ય, વજનમાં હળવુંલાઈટ વેઈટ જ્વેલરીની સૌથી મોટી ખાસિયત તેની ડિઝાઇન છે. જ્વેલર્સ હવે એવી ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં સોનું ઓછું વપરાય છતાં જ્વેલરી 'ભરચક' અને 'મોટી' દેખાય. મોટા સ્ટોન અને મોતીનો ઉપયોગજ્વેલરીને સુંદર અને ભવ્ય દેખાવ આપવા માટે તેમાં મોટા કદના સ્ટોન અને મોતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આનાથી સોનાનો વપરાશ ઘટે છે અને જ્વેલરીનું આકર્ષણ વધે છે. ગ્રાહકો 9-18 કેરેટની જ્વેલરી તૈયાર કરાવી રહ્યા છેઅગાઉ જ્યાં 22 અને 24 કેરેટનું સોનું ઉપયોગમાં લેવાતું હતું, ત્યાં હવે લાઈટ વેઈટ જ્વેલરી માટે ગ્રાહકો 18 કેરેટ અને 9 કેરેટની જ્વેલરી તૈયાર કરાવી રહ્યા છે. આ ઓછા કેરેટના સોનાનો ઉપયોગ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ઇટાલિયન અને મશીન મેડ જ્વેલરી ટ્રેન્ડમાંલાઈટ વેઈટ સેગમેન્ટમાં ઇટાલિયન જ્વેલરી અને મશીનથી તૈયાર થનાર જ્વેલરી હાલમાં સૌથી વધુ ટ્રેન્ડમાં છે. આ ડિઝાઇનની લોકપ્રિયતા પાછળનું મુખ્ય કારણ તેની બનાવટની ટેકનિક છે. હેવીવેટ જ્વેલરીની જગ્યાએ લાઈટ વેઈટ જ્વેલરીની ડિમાન્ડ વધી: જ્વેલર્સજ્વેલર્સ દીપક ચોકસીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં સોનાના ભાવ લગભગ ડબલ થઈ ગયા છે. જેના કારણે હવે હેવીવેટ જ્વેલરીની જગ્યાએ લાઈટ વેઈટ જ્વેલરીની ડિમાન્ડ વધી છે. અગાઉ 18 કેરેટનો ભાવ હતો, તે હવે 9 કેરેટનો થઈ ગયો છેદીપક ચોકસીએ વધુમાં જણાવ્યું હતું કે,હાલ જે અગાઉ 18 કેરેટનો ભાવ હતો, તે હવે 9 કેરેટનો ભાવ થઈ ગયો છે. તેમણે ઉમેર્યું કે લાઈટ વેઈટ જ્વેલરી માટે ઓછા કેરેટ કરવા પડે, અને હાલ 9 કેરેટમાં જ્વેલરી સારી ચાલી રહી છે. 18 અને 9 કેરેટ લાઈટ વેઈટ જ્વેલરી માટે મજબૂત ગણી શકાયચોક્સીના જણાવ્યા મુજબ, સૌથી નરમ 24 કેરેટ હોય છે અને ત્યાર પછી 22 કેરેટ હોય છે. પરંતુ 18 અને 9 કેરેટ લાઈટ વેઈટ જ્વેલરી માટે મજબૂત ગણી શકાય. જ્યારે જ્વેલરી લાઈટ વેઈટ હોય, ત્યારે તેની સ્ટ્રેંથ વધી જતી હોય છે. કારીગરો પણ અપનાવી રહ્યા છે નવી ટેકનિકપરંપરાગત રીતે ભારતના કારીગર હેન્ડમેડ જ્વેલરી બનાવે છે, જેમાં વજનનું પ્રમાણ સ્વાભાવિક રીતે વધારે રહે છે. જોકે, બદલાતા ટ્રેન્ડને અનુરૂપ હવે ભારતીય કારીગરોએ પણ પોતાના હાથથી લાઈટ વેઈટ જ્વેલરી બનાવવાની શરૂઆત કરી દીધી છે. તેઓ પણ હવે ઈટાલિયન અને મશીન મેડ જ્વેલરીની ટેકનિકને સમજીને પોલાણવાળી અને વજનમાં હળવી ડિઝાઇન્સ તૈયાર કરી રહ્યા છે. પ્લેટિનમ અને સિલ્વર તરફ વધતો ઝુકાવસોનાના વધેલા ભાવના કારણે ગ્રાહકો હવે વૈકલ્પિક ધાતુઓ તરફ પણ વળી રહ્યા છે.દીપક ચોક્સીના જણાવ્યા મુજબ, હાલ સૌથી મહત્વની વાત છે કે પ્લેટિનમનો ભાવ ઓછો છે જેથી ગ્રાહક પ્લેટિનમની જ્વેલરીની ડિમાન્ડ કરી રહ્યા છે. બીજી બાજુ, લોકો સિલ્વરની જ્વેલરીની પણ ડિમાન્ડ કરી રહ્યા છે. સિલ્વર-પ્લેટિનમની જ્વેલરી પણ ગ્રાહકોને સુંદર ડિઝાઇન અને ઓછી કિંમતનો વિકલ્પ પૂરો પાડે છે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 6:00 am

'લંડનમાં મમ્મીએ કાળી મજૂરી કરીને ભણાવ્યાં':પાટીદારની દીકરી બે વર્ષ પથારીવશ રહી ને આજે પોતાની મોટેલ ચલાવે છે, કહ્યું- 'અમેરિકામાં જીવવું સરળ નથી, ભારતમાં સુખી હો તો ત્યાં જ રહો'

વિદેશને કર્મભૂમિ બનાવીને ગુજરાત ને ભારતનું નામ ગુજરાતીઓ રોશન કરતા હોય છે. સંઘર્ષો સામે હાર્યા વગર પોતાના મક્કમ મનોબળથી પોતાની અલગ ઓળખ બનાવવી મુશ્કેલ તો છે. વિદેશની ધરતી પર પોતાના મૂલ્યો જાળવીને સફળતા મેળવવી અઘરી છે. દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘ગ્લોબલ ગુજરાતી’ આજના એપિસોડમાં આપણે વાત કરીશું, મૂળ દક્ષિણ ગુજરાતના અને હાલમાં અમેરિકામાં રહેતાં નેન્સી પટેલની. કેવી પરિસ્થિતિનો સામનો કરીને આજે પોતાનું અલગ નામ બનાવ્યું? ભારતમાં શું બનાવવાનું સપનું છે? 'હું વિદેશી નહીં ભારતીય છું'નેન્સી પટેલ વાતની શરૂઆત કરતાં કહે છે, 'અમેરિકામાં તો મને જોઈને બધાને એવું જ લાગે છે કે હું વિદેશી છું, પરંતુ મારો જન્મ ગુજરાતમાં થયો છે. મમ્મી લગ્ન કરીને પુણાથી કુંભાળિયા ગયા. મોટા બહેનના જન્મ બાદ લંડન ગયા. લંડનમાં મમ્મીએ ફેક્ટરીમાં નોકરી કરી ને બહેનને ભણવા મૂકી. તેઓ નાઇટ શિફ્ટ પણ કરતા. બહેનના જન્મ બાદ ભાઈનો જન્મ થયો. પછી હું જન્મી. અમે મૂળ ખેડૂત પરિવારના જ છીએ.' 'સારા જીવન માટે પરિવાર અલગ રહ્યો'વાતને આગળ વધારતાં નેન્સી કહે છે, 'પેરેન્ટ્સની ઈચ્છા હતી કે બાળકો એક સારું જીવન જીવે. બાળકોને ભણાવવા માટે પેરેન્ટ્સે લંડન જવાનું નક્કી કર્યું. મોટાં બહેન રિયલ એસ્ટેટનું કામ પાર્ટનરશિપમાં કરતા અને સાથે જોબ પણ કરતાં. હું પાંચ વર્ષની હતી ત્યારે ત્યારે પિતા ને મોટાં બહેન અમેરિકાના કેલિફોર્નિયામાં આવ્યાં. લંડનમાં હું, ભાઈ ને મમ્મી રહેતાં. આ સમયે મમ્મીએ અમને મોટા કરવામાં ઘણોજ સંઘર્ષ કર્યો હતો. અમે આ રીતે સાત વર્ષ અલગ રહ્યાં. 1981માં અમે માર્શલ ટેક્સાસ શિફ્ટ થયાં. આ સમયે બેનની હોટલમાં હું બધું કામ કરતાં શીખી કે કેવી રીતે રૂમ સાફ કરવાના, ક્લીનિંગ કેમ કરવાનું. સ્કૂલેથી આવીને અમે આ જ કામ કરતા. પેરેન્ટ્સના સંઘર્ષમાંથી અમને ઘણું જ શીખવા મળ્યું.' 'માત્ર 18 વર્ષની ઉંમરે લગ્ન થયાં''મારાં પેરેન્ટ્સ ઘણા જ સ્ટ્રીક્ટ હતાં. આજની જેમ અમે ત્યારે અમેરિકામાં હોવા છતાં ઘરની બહાર બહુ નીકળી ના શકીએ. 1989માં હાઇસ્કૂલ ગ્રેજ્યુએશન કર્યું. લગ્નમાં મેં ભાવિ પતિને જોયા અને પછી અમારી સગાઈ થઈ ને થોડા સમયમાં તો લગ્ન થઈ ગયા. મારા લગ્ન થયા ત્યારે હું 18ની ને પતિ 21ના હતા. પછી અમે જ્યોર્જિયા આવ્યા. મારા પતિ પાંચ બહેનોની વચ્ચે એક ભાઈ હતા. તેઓ 16 વર્ષની ઉંમરે ગુજરાતથી કાકા સાથે અમેરિકા આવ્યા હતા. તેમણે હાઇસ્કૂલ ને કોલેજ કરી અને પછી તેમના પેરેન્ટ્સ આવ્યા. તે સમયે મોટેલ બિઝનેસ ઘણોજ સારો ચાલતો હતો એટલે લગ્ન બાદ અમે મોટેલ શરૂ કરવાનું વિચાર્યું. અમે અડધું દેવું કરીને મોટેલ બાંધી. લગ્ન બાદ તરત જ અમે આ બિઝનેસ શરૂ કર્યો. સામાન્ય રીતે લગ્ન બાદ શરૂઆતના વર્ષોમાં ઘણાને મા-બાપના પૈસાથી જલસા કરવા મળતા હોય છે, પરંતુ અમે એટલા નસીબદાર નહોતા. ધીમે ધીમે મોટેલ બિઝનેસને એક્સપાન્ડ કરવાનું વિચાર્યું. એક સમયે અમારી 12 મોટેલ્સ હતી.' 'લગ્નના સાત વર્ષ બાદ અકસ્માત થયો'નેન્સી પટેલ જીવનની કરમ કઠણાઈને વર્ણવતા કહે છે, 'લાઇફમાં અમે હજી સેટલ જ થતા હતા ત્યાં અચાનક જ 1995માં મારો ભયંકર કાર અકસ્માત થયો. આ એક્સિડન્ટ કારના ફોલ્ડને કારણે થયો હતો. અમે હજી નવી જ સ્પોર્ટ્સ કાર લીધી હતી અને તેમાં કંઈક સમસ્યા આવી અને મારી કાર ફ્લિપ થઈને રોડ પર હવામાં ઉછળીને નીચે પડી હતી. કમર નીચેનો ભાગ પેરેલાઇઝ થઈ ગયો. ડૉક્ટરે ચોખ્ખું કહી દીધું કે હવે હું જીવનમાં ક્યારેય મારા પગ પર ચાલી શકીશ નહીં. લગ્નને હજી સાત વર્ષ થયા હતા. કારમાં મારી સાથે 18 મહિનાનો દીકરો પણ હતો અને સદ્ભાગ્યે તે બચી ગયો. હું સંપૂર્ણ પથારીવશ થઈ ગયેલી. મારી નજરની સામે હું લાચાર હતી. મને તો એવું લાગ્યું કે જીવતે જીવ હું મરી ગઈ ગયું છે. જીવનમાં પૈસાની, બિઝનેસની સ્ટ્રગલ આવે તો વાંધો નહીં, પરંતુ આવી સ્ટ્રગલ કોઈને ના આવે. જો તમારા હાથ-પગ ચાલે છે તો તમે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિને પણ પહોંચી વળો છે.' 'મેં બે વર્ષ સુધી બેડરેસ્ટ કર્યો. હું લગ્ન બાદ સતત પતિ સાથે કામ કરતી હતી. પછી ઓચિતું જ પથારવશ થઈ જવાય તે કેટલી મજબૂરી કહેવાય. અલબત્ત, તે સમયે પતિ ને પરિવારે સતત સાથ આપ્યો. તેમણે જ મારી સેવા કરી. આ સમયે સાચું કહું તો પરિવારનું મહત્ત્વ સમજાય. પેરેન્ટ્સ ને પાંચ નણંદોએ સાથે આવવાની વાત કરી, પરંતુ હું તો મારા ઘરે પતિ સાથે જ રહી.' 'ડિપ્રેશનમાં સરી પડી, આત્મહત્યાના વિચારો આવ્યા'નેન્સી પટેલ આગળ કહે છે, 'અકસ્માત થયો ત્યારે મારી ઉંમર માત્ર 26 વર્ષની હતી. આ ઘણું જ અઘરું હતું. હું તો ડિપ્રેશનમાં સરી પડી હતી. કોઈ મારી સેવા કરે એ વાત જ મને સતત ખટક્યા કરતી હતી. મેં તો એમ જ વિચાર્યું હતું કે હું મા-બાપ ને બધાની સેવા કરીશ. પરિસ્થિતિએ એવો વળાંક લીધો કે પરિવારે મારી સેવા કરવી પડી. હું હંમેશાં બીજાની સારસંભાળ રાખતી. એક સમય એવો પણ આવ્યો કે મને થતું કે હું ગોળીઓ ખાઈને આ દુનિયામાંથી જતી રહું. આ મુશ્કેલ સમયમાં હું એટલી શીખી કે જો માઇન્ડ સ્ટ્રોંગ હોય અને મનથી નક્કી કર્યું હોય કે આ સમયમાંથી નીકળી જઈશું તો કોઈ પણ મુશ્કેલ સમયમાંથી નીકળી જ જવાય છે. હું હંમેશાં સલાહ આપતી હોઉં છું કે ગમે તે કઠિન સમય હોય કે નાણાકીય, હેલ્થ ઇશ્યૂ, રિલેશનશિપમાં તકલીફ હોય ત્યારે માઇન્ડ સેટ ચેન્જ કર્યા વગર ઉકેલ આવતો નથી. જો તમે પોઝિટિવ વિચારશો તો પોઝિટિવ ને નેગેટિવ વિચારશો તો નેગેટિવ જ થશે. સમસ્યાના ઉકેલમાં ટાઇમ લાગે, પરંતુ તેનો ઉકેલ આવે જ. સાજા થયા બાદ પછી મેં ક્યારેય પાછળ ફરીને જોયું નથી. સંઘર્ષ તો જીવનનો એક ભાગ છે અને મને ક્યારેય તેનાથી ડર લાગ્યો નથી. હું ચાલી ફરી નહોતી શકતી અને તેમાંથી બહાર આવી તો પછી બીજી કોઈ મુશ્કેલી આનાથી મોટી હોઈ શકે નહીં.' 'હનુમાન ચાલીસા બોલતી''બેડ રેસ્ટ હોવાથી ઊભા થવાનું નહોતું. પગ નહોતા ચાલતા, પરંતુ હાથ તો કામ કરતા જ હતા. કમરથી નીચેનો ભાગ પેરેલાઇઝ હોવાથી બેઠા બેઠા જેટલું કામ થાય તેટલું કરતી. આપણને ખરાબ સમયમાં જ ભગવાન યાદ આવતા હોય છે. તે સમયમાં મનને શાંત કરવા ભગવાનને રોજ યાદ કરતી. મારા ઘરમાં હનુમાનજીમાં વધારે શ્રદ્ધા એટલે હનુમાનજીનો મંત્ર ને હનુમાન ચાલીસા વાંચતી.' 2 વર્ષે સાજી થઈનેન્સી પટેલ કહે છે, 'અકસ્માતના બે વર્ષ બાદ 1997માં હું બિલકુલ સાજી થઈ ગઈ. ડૉક્ટર માટે પણ આ વાત માનવી અશક્ય હતી. પછી ફેમિલી મેમ્બર સાથે મોટેલ શરૂ કરી. 1998માં અમારા લીડ ઇન્વેસ્ટમેન્ટે કોઈ બોન્ડ કર્યો નહોતો. તેઓ જ બાંધકામનું કામ સંભાળતા હતા. આ દરમિયાન કન્સ્ટ્રક્શનની કોસ્ટ વધી ગઈ. બોન્ડ ના હોવાથી ઇન્શ્યોરન્સ નહોતો. આ જ કારણે અમને ઘણો જ મોટો ફટકો પડ્યો. અમે મોટેલ માટે પાંચ લાખ ડૉલર રોકડા આપ્યા હતા. અમે હજી 30 વર્ષના પણ નહોતા. રાત-દિવસ કાળી મજૂરી કરીને મહેનતથી પૈસા ભેગા કર્યા હતા, પરંતુ એક નાની ભૂલને કારણે અમારી બધી જ બચત વપરાઈ ગઈ. અમારી પાસે કંઈ જ નહોતું. અમે શૂન્ય પર આવી ગયા.' 'અચાનક જ 9/11 આવી ગયું''હજી આમાંથી બહાર આવીએ તે પહેલા તો 2001માં 9/11 આવી ગયું. આ તો આપણા કંટ્રોલમાં નહોતું. આમાંથી નીકળવું મુશ્કેલ હતું. ભગવાનની દયાને કારણે તેમાંથી બહાર નીકળ્યા ને થોડી મોટેલ ખરીદી. હજી માંડ સ્ટેબલ થયા ત્યાં તો 2008ની મંદી નડી ગઈ. આ ઘણી જ ગંભીર પરિસ્થિતિ હતી. ગેસ સ્ટેશન, મોટેલ બધું જ વેચી કરીને 2009માં જ્યોર્જિયાથી ટેક્સાસ શિફ્ટ થયા. તમે નહીં માનો, 2001માં અમે 60 રૂમની એક હોટલ બાંધી હતી, તેમાંથી અમારો ભાગ કાઢી લીધેલો. આ જ કારણે નુકસાન થયું. ઘણીવાર એવું પણ બન્યું કે ખોટ ખાઈને પણ મોટેલ વેચવી પડી હતી. અમેરિકામાં નાદારી નોંધાવવી કંઈ મોટી વાત નથી. તેમાંથી બહાર નીકળવા માટે નાદારી એક માત્ર વિકલ્પ રહેતો હોય છે. આ જ કારણે અમેરિકામાં ઘણા ગુજરાતીઓ નાદારી નોંધાવતા હોય છે, પરંતુ ભગવાનની દયાથી અમારે આવું કંઈ કરવું પડ્યું નહોતું.' 'ટેક્સાસમાં ભાણીયાનો સાથ મળ્યો'નેન્સી પટેલ વાતને સમજાવતા કહે છે, 'મારી એક નણંદનો દીકરો રાજ ટેક્સાસમાં રહેતો. તે એક મોટેલ બનાવતો હતો તો અમારા મુશ્કેલ સમયમાં તેને સાથ આપ્યો. અમારા લગ્ન થયા ત્યારે રાજ એક વર્, અમારી સાથે રહ્યો. તે સમયે તેની પાસે પણ કંઈ નહોતું ને અમે મદદ કરી હતી. ટેક્સાસમાં અમે પાંચ વર્ષ રાજની મોટેલ ચલાવી. પછી મારા બીજા એક ભાઈની મોટેલમાં ભાગ લીધો અને હાલમાં અમે તે ચલાવીએ છીએ. 2008ની મંદીને કારણે અમે બધું ખોટમાં વેચી કરીને આવ્યા હતા. પાર્ટનર્સે દગો કર્યો હતો એટલે એ પૈસા પણ જતા રહ્યા. તે સમયે અમારી પાસે માંડ લાખેક ડૉલરથી પણ ઓછા ડૉલર હશે.' 'જીવનમાં માંડ સેટલ થઈને નવી મુસીબત આવે'નેન્સી હસતા હસતા કહે છે, '2008ની મંદીમાંથી બહાર આવીએ ને કંઈક અલગ કરવાનું વિચારું ત્યાં તો 2020માં કોરોના આવી ગયો. અલબત્ત હું એમ કહીશ કે તે સમયની મંદીમાંથી અમે સહી સલામત બહાર આવી ગયા. ધંધો મંદ પડ્યો, પરંતુ તે સમયે અમને ખાસ નુકસાન થયું નહીં. ભૂતકાળમાંથી એટલું શીખી કે મુશ્કેલ સમય માટે થોડી અલગથી બચત રાખવી જરૂરી છે. આપણી પાસે હોય તેટલા તમામ પૈસા ધંધામાં લગાવવા જોઈએ નહીં. જો બધા જ પૈસા લગાવી દઈએ તો નુકસાન સહન કરવું પડે.' 'પહેલી જ વાર અમેરિકાના લેઉઆ પાટીદાર સમાજની પ્રમુખ બની'નેન્સી પટેલ કહે છે, '2020-21માં હું અમેરિકાની લેઉઆ પટેલ સમાજની પહેલી મહિલા પ્રમુખ બની. આ સંસ્થા સાથે હું 2009થી જોડાયેલી હતી અને સમાજવા કરતી. હું ચાલતી થઈ ગઈ પછી AAHOA (એશિયન અમેરિકન હોટલ ઑનર્સ એસોસિયેશન)માં પણ જોડાઈ હતી. 2007-09માં AAHOAમાં બોર્ડ ડિરેક્ટર ને પછી રિજનલ ડિરેક્ટર બની. આ ઉપરાંત અન્ય બે મહિલા સાથે મળીને લેડિઝ વિગ પણ શરૂ કરી. 2020માં કોરોનાકાળ સૌથી મુશ્કેલ સમય હતો. જે સમયે આખી દુનિયા હેન્ડિકેપ હતી ત્યારે ભગવાને મને લીડરશિપ આપી, કારણ કે ભગવાનને ખ્યાલ હતો કે હું પોતે તેમાંથી બહાર આવી છું. તો હું બધાને હેલ્પફૂલ થઈ શકીશ. લીડરશિપ મળ્યા બાદ મેં સો.મીડિયાનો ઉપયોગ કર્યો.' '2021માં કોરોનાની સેકન્ડ વેવ જીવલેણ સાબિત થઈ. કમ્યુનિટી સાથે મળીને અમે 5 લાખ ડૉલર ભેગા કર્યા ને ગુજરાતની 14 હૉસ્પિટલમાં 14 ઓક્સિજન પ્લાન્ટ બનાવ્યા અને તેને કારણે હજારોના જીવ બચ્યા. અમે ભલે ભારતની ભૂમિ છોડીને આવ્યા, પરંતુ ભારત પ્રત્યેનો અમારો પ્રેમ અમે ક્યારેય ભૂલવાના નથી.' મોટેલિયર ઉપરાંત અલગ-અલગ બિઝનેસ નેન્સી કહે છે, 'અમારા આખા પરિવારની મોટેલ તો બહુ બધી છે, પરંતુ હું મારી વાત કરું તો એક જ મોટેલ પર ધ્યાન આપું છું. મને દસ જગ્યાએ ભાગમભગ કરવી ગમે નહીં. તમારી મોટેલની સંખ્યા પરથી તમને ઓળખવામાં આવતા નથી. તમારી ઓળખ તમે શું કામ કર્યું તેના પરથી થાય છે. મારી મોટેલ 113 રૂમની છે અને મોટેલની નજીકમાં જ ચાર બેડરૂમનું ઘર છે. અમારી મોટેલ દરિયા કિનારે જ છે. હવે તેને ગોલ્ફ ઑફ અમેરિકા કહેવામાં આવે છે.' નેન્સી પટેલ માત્ર મોટેલ બિઝનેસ જ કરતાં નથી, પરંતુ અન્ય કેટલાક પ્રોજેક્ટ પર પણ કામ કરી રહ્યા છે. આ અંગે તેમણે કહ્યું, 'મોટેલ બિઝનેસ સિવાય એક બિગ ગ્લોબલ પ્રોજેક્ટમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલમાં હોઇડ્રોજન એન્જિન સાથે ટ્રક બનાવવાના છે. આ બિઝનેસ 2021થી શરૂ કર્યો. ગુજરાતમાં ખેડામાં અમારી ફેક્ટરી છે અને હવે યુએઇ તથા મિડલ ઇસ્ટમાં ફેક્ટરી શરૂ કરી છે. અમે અત્યાર સુધી કુલ 15 ટ્રક બનાવ્યા છે, પરંતુ તે ટેસ્ટિંગ માટે રાખ્યા છે. મિડલ ઇસ્ટમાં બધું તૈયાર થઈ ગયુ છે. ઇન્વેસ્ટરને મળીને ત્યાં ફાઇનલ મિટિંગ બાદ પ્રોડક્શન શરૂ થશે. બીજો એક પ્રોજેક્ટ AI પર આધારિત છે. આ પ્રોજેક્ટ હેઠળ હોટલના તમામ કામો AIથી કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પણ ગ્લોબલ છે. શરૂઆત અમેરિકાથી જ થવાની હતી, પરંતુ ઇન્વેસ્ટર્સ હાલમાં અન્ય જગ્યાએથી આ પ્રોજેક્ટ લૉન્ચ કરવા માગે છે. અમેરિકામાં પાયલટ પ્રોજેક્ટ માટે લોકેશન શોધીને રાખ્યા છે. હોટલના ફ્રન્ટ ડેસ્કમાં ગેસ્ટ આવે તો ચેક-ઇન થઈ જાય, ત્યારબાદ ઓટોમેટિક ફેસ રેકગ્નાઇઝેશનથી ચેકિંગ થશે. કસ્ટમરને ઇઝી પ્રોસેસ મળી રહે તે તમામ જગ્યાએ AIનો ઉપયોગ કરવામાં આવશે. રૂમમાં પણ AIથી જ બધું થશે. રૂમ પણ રોબોટ સાફ કરશે એટલે લેબર કોસ્ટ ઘટી જાય. બાથરૂમમાં શાવરનું ટેમ્પરેચર બોડી ટેમ્પરેચર સાથે મેચ થશે અને એ રીતે પાણી આવશે. આ ઉપરાંત રૂમમાં સ્માર્ટ મિરર, સ્માર્ટ ક્લોઝેટ હશે. રૂમમાં એલેક્સા જેવું હશે. અને ગેસ્ટ પલંગ પર બેસીને આખો રૂમ કંટ્રોલ કરી કશે. આ ઉપરાંત આ પ્રોજેક્ટમાં ક્રિપ્ટો કરન્સી પણ સ્વીકારવામાં આવશે. આ પ્રોજેક્ટ હાલમાં રિસર્ચ હેઠળ છે અને તેમાં ત્રણેક વર્ષ જેટલો સમય લાગશે.' 'ભારતમાં આવી મોટેલ શરૂ કરવી છે'નેન્સી કહે છે, 'ભારતમાં પણ આ પ્રકારની મોટેલ શરૂ કરવાની ઈચ્છા છે. સારું લોકેશન, સારા પાર્ટનર મળે તો વાંધો ના આવે. હાલમાં સુરતનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. અમદાવાદ, ગિફ્ટ સિટી પણ બેસ્ટ ઓપ્શન છે. અમેરિકા કરતાં ઇન્ડિયા-ગુજરાતની મોટેલ ઇન્ડસ્ટ્રી વધારે સારી છે પણ ભારતમાં મોટેલ બાંધવી એટલી સરળ નથી. અલબત્ત, ભારતમાં મોટેલ શરૂ કરવી એ મારું ડ્રીમ છે .' નેન્સી આ ઉપરાંત ઇન્શ્યોરન્સનું કામ પણ કરે છે. આ અંગે તેઓ જણાવે છે, 'હોટલ ઇન્ડસ્ટ્રીમાં 12 વર્ષની હતી ત્યારથી જોડાયેલી છું. હાલમાં કમર્શિયલ ઇન્શ્યોરન્સનું કામ કરું છું. અમેરિકામાં ઇન્શ્યોરન્સ વગર ભાગ્યે જ કોઈ કામ થાય. હાલમાં ઇન્શ્યોરન્સની કોસ્ટ વધી ગઈ છે. મારે લોકોને એજ્યુકેટ કરવા કરિયરનો નવો પાથ પસંદ કર્યો. મને લાઇફમાં મદદ કરવી વધારે ગમી. ડ્રીમ અંગે નેન્સી બોલે છે, બધાને પૈસાનું ડ્રીમ હોય. હું એટલી જ પ્રાર્થના કરું કે બીજાની મદદ કરી શકું, કોઈને કામ આવી શકું અને તેમના જીવનમાં કંઈક ફેરફાર આવે. કરિયર વાઇઝ હું જે પણ કરું એમાં મને સફળતા મળે. 56 વર્ષની ઉંમરે પણ મને અલગ-અલગ ફિલ્ડમાં કામ કરવું ગમે છે. મેં ઘર ને કરિયર બંને સંભાળ્યા છે. દીકરો 26 વર્ષનો હતો ત્યારે લગ્ન કરાવી દીધા ને દીકરી હાલ 21 વર્ષની છે અને કોલેજમાં ભણે છે. પતિ પણ મોટેલ ઇન્ડસ્ટ્રીમાં જ છે. તેમણે પર્સનલ ને પ્રોફેશનલ બંને રીતે હેલ્પ કરી છે. એમના સપોર્ટ વગર મારાથી કંઈ જ ના થાય. તે સતત પ્રોત્સાહિત કરે કે તારામાં આવડત છે, તું હોંશિયાર છે તો તું આગળ વધ. તેમણે મને ક્યારેય આગળ વધતા અટકાવી નથી. મોટેલમાં હું ને મારો પતિ ત્રણ-ચાર લોકોનું કામ કરી નાખીએ છીએ. આજકાલ મોંઘવારીને કારણે મોટેલમાં પ્રોફિટ રેશિયો ઘટી ગયો છે.' 'અમેરિકામાં ગુજરાતી તહેવારો સેલિબ્રેટ કરું છું''અમેરિકામાં ગુજરાતી કલ્ચરની વાત કરું તો મા-બાપે ગુજરાતી કલ્ચર સાચવ્યું અને તે મારામાં આવ્યું. હું સાસુ-સસરા સાથે રહેતી. તે કારણે પણ ગુજરાતીપણુ ટકી રહ્યું. ગુજરાતી હંમેશાં પોતાની ભાષાથી ઓળખાય. અમે તો ગુજરાતીમાં જ વાત કરીએ છીએ, પરંતુ આજની નવી પેઢીને ગુજરાતી શીખવવું અઘરું છે. આ જ કારણે અમેરિકામાં અલગ-અલગ સમાજ કે શહેર પ્રમાણે સંસ્થાઓ બની છે. નવી જનરેશન આપણો વારસો સમજે તે જરૂરી છે. હું તો માનું છું કે સમાજને આપણી નહીં, પરંતુ આપણને સમાજની જરૂર છે. દિવાળી, હોળી, નવરાત્રિ કેમ સેલિબ્રેટ કરીએ છીએ તે પાછળનું ધાર્મિક મહત્ત્વ આજની જનરેશનને સમજાવવું જરૂરી છે. ભારતમાં બહુ ઓછો સમય પસાર કર્યો છે. અમેરિકામાં મોટી થયેલી એટલે મને તે બધું જ યાદ હોય. ઇન્ડિયા દર વર્ષે એકવાર આવું જ છે. ઇન્ડિયાની હાર્ડશિપ ને એથિક્સ ને સંબંધોને માન એ આપણી ભૂમિ-માતામાંથી લઈને અમેરિકા આવી. ડિસિપ્લિન લઈને આવી. અમારા દાદા-દાદીએ ખેતીવાડીમાં કામ કર્યું. સવારે ચાર વાગ્યે ઊઠીને ખેતરમાં જતા. મારા સાસુ ખેતર જતા પહેલાં આખા ઘર ને તમામ માટે ઢગલાબંધ રોટલા બનાવતા. હું માનું છું કે હાર્ડવર્કનું પરિણામ અચૂકથી મળે છે.' 'ઘર જ એક મંદિર છે'નેન્સી કહે છે, 'ઘણીવાર મારા મમ્મી કહે કે દરેક જગ્યાએ મંદિર ના પણ હોય, પરંતુ આપણું ઘર એક મંદિર જ છે. ઘરના મંદિરમાં સવાર-સાંજ દીવો ને આરતી કરું. આ ઉપરાંત હું મારું કામ કરતી હોઉં ત્યારે મનમાં સતત ભગવાનના વિવિધ શ્લોક ને મંત્રોચ્ચાર કરું. ભગવાનને ક્યારેય ભૂલવા નહીં.મારો લાઇફ મોટો એક જ છે, ક્યારેય બીજા કોઈ સાથે સ્પર્ધા કરવાની જરૂર નથી, પરંતુ પોતાની જાત સાથે જ કરવી. જીવનમાં ક્યારેય હાર માનશો નહીં અને કંઈ જ અશક્ય નથી.' 'જીવનમાં આવેલી અનેક મુશ્કેલીઓમાંથી પ્રેરણા કેવી રીતે મેળવી તે અંગે નેન્સી જણાવે છે, મને મમ્મીએ સતત મોટિવેટ કરી. આ ઉપરાંત હું સતત મેનિફેસ્ટિંગ કરું. જ્યારે મગજમાં નેગેટિવ વિચારો આવે ત્યારે પોઝિટિવ મેનેફેસ્ટિંગ કરું. હું બહુ જ સ્ટ્રોંગલી માનું છું કે ફોકસ હંમેશાં સમસ્યા પર નહીં, પરંતુ ઉકેલ પર કરવું જોઈએ. સમસ્યા હંમેશાં રહેવાની છે અને તેના પર જ ધ્યાન આપતા રહીશું તો ક્યારેય ઉકેલ મળે નહીં. હું ઘણીવાર મારી જાતને સતત કહું કે યસ, આઇ કેન ડુ. ઘણીવાર બુકમાં લખું કે હું સફળ થઈશ. હું આમ બનીશ... મારા ઘરની નજીક દરિયો છે તો ત્યાં બેસીને દરિયા સાથે વાત કરું. દરિયામાંથી જે વાઇબ્સ આવે તે ઘણી વખત મને શાંતિ આપે છે. પાણી સાથે કનેક્ટ રહેવાથી મને લાગે છે કે મારો મુશ્કેલ સમય પણ ઝડપથી પસાર થઈ ગયો.' 'યંગસ્ટર્સને સલાહ એટલી જ કે આજના યંગસ્ટર્સ બહુ જ જલ્દીથી ડિપ્રેશ્ડ થઈ જાય છે. સહનશીલતા બિલકુલ નથી. તો ડિસિપ્લિન, ધગશ, ફોકસ, સહનશીલતા, પેશન હોવું જોઈએ. આજે મા-બાપ પર આર્થિક રીતે આધારિત રહેવાને બદલે પગભર થવાની જરૂર છે. ઘણા જુવાનો મા-બાપની સેવા નથી કરતા. આજની જનરેશન માટે સારું પ્લેટફોર્મ છે. ટેક્નોલોજી પણ એટલી જ છે. આજના યુવાનો સોશિયલી બહુ થતાં નથી તો આ બધામાં ધ્યાન આપવું. મા-બાપને કહીશ કે બાળકોની તુલના સતત કરવી નહીં. આ ઉપરાંત બાળકોને જે ગમે છે કે જે બનવું છે તેને સપોર્ટ કરવો. જનરેશન ગેપને સમજાવાની જરૂર છે ને મા-બાપે સમય સાથે થોડો ઓપન માઇન્ડ થવાની જરૂર છે.' 'અમેરિકામાં જીવવું કંઈ સરળ નથી'નેન્સી છેલ્લે કહે છે, 'બધાને અમેરિકાનો ઘણો જ મોહ છે. અમેરિકામાં જીવવું સહેજ પણ સરળ નથી. અમેરિકામાં બહુ જ મહેનત કરવી પડે. હું તો એટલું જ કહીશ કે ભારતમાં જે સુખી છે તેઓ ત્યાં જ આરામથી રહે. તમારી પાસે જમીન, સંપત્તિ, પૈસાથી લઈને બધું જ છે તો અમેરિકા ના આવશો. અમેરિકામાં નોકરો મળશે નહીં. બધું જ કામ જાતે કરવું પડશે. લીગલી આવો તો વાત અલગ છે તો પણ ભારતમાં રહેતા લોકોને એમ જ લાગે છે કે અમેરિકામાં તો બધા ઝાડ પરથી પૈસા તોડી તોડી જ કમાય છે, પરંતુ આ સાચું નથી. અમેરિકાની ગાડી ને બંગલો જોઈને બધાને ઈચ્છા થાય, પરંતુ તે માટે કેટકેટલી મહેનત કરી છે તે પણ સમજવાની જરૂર છે. ભારતમાં રહીને બધાને એમ જ લાગે છે કે ઓહહ.... અમેરિકા તો બહુ જ સારું છે પણ સાચું કહું તો ઇન્ડિયા પણ અમેરિકા જેવું જ છે. છેલ્લા પાંચ વર્ષમાં ઇન્ડિયામાં ઘણું જ પરિવર્તન આવ્યું છે. અમેરિકા પણ પાવરફૂલ દેશ છે. જો લીગલી અમેરિકા આવો તો સારું પણ જો ગેરકાયદેસર આવ્યા તો નસીબમાં મજૂરી જ લખાયેલી છે. હાલમાં કડક કાયદા જોતા પકડાઈ જવાનો ડર સતત રહે છે. જો કાયદેસર રીતે નથી આવી શકતા તો બે નંબરમાં આવવાનો સહેજ પણ પ્રયાસ કરશો નહીં. અમેરિકામાં દિવસે દિવસે ઇમિગ્રેશનના નિયમો કડક બનશે.' આવતીકાલે 'ગ્લોબલ ગુજરાતી'ના ત્રીજા એપિસોડમાં વાંચો, મહેસાણના યુવકે કેવી રીતે અમેરિકામાં ગાંધીજીનું સપનું પૂરું કર્યું, આ યુવકનું ગુજરાતના વિકાસમાં કેવું યોગદાન રહેલું છે?

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 6:00 am

અંતિમ તબક્કામાં બીએલઓને ફોર્મ મેળવવામાં તકલીફો‎:છૂટાછેડાનો કેસ ચાલતો હોય પતિ પત્નીનું ફોર્મ આપવા તૈયાર ન હતો

SIRની કામગીરી 4 નવેમ્બરથી શરૂ કરાઇ છે. જે કામગીરી હાલમાં અંતિમ તબક્કામાં છે. સાબરકાંઠા જિલ્લામાં મોટાભાગના એન્યુમરેશન ફોર્મ ભરાઇને પરત આવી ગયા છે જેનું મેપિંગ પણ થઇ ગયું છે. અંતિમ તબક્કામાં બીએલઓને કેટલાક ફોર્મ પરત મેળવવામાં ઘણી તકલીફ પડી હતી. બીએલઓને પૂછતાં અનેક રસપ્રદ કારણો સામે આવ્યા છે જેના કારણે બીએલઓ મૂંઝવણમાં મૂકાયા હતા. આ કારણોનું કેવી રીતે નિવારણ લાવવું તેને લઇને તેઓ દ્વારા સતત મથામણ કરાઇ હતી. કિસ્સો-1બીએલઓના જણાવ્યા અનુસાર એક ભાઇને છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલતો હોય તે તેની પત્નીનું ફોર્મ પરત આપવા માટે તૈયાર ન હતા. આ ભાઇએ કુટુંબના બાકીના સભ્યોના ફોર્મ જમા કરાવી દીધા છે. પરંતુ તેની પત્નીનું ફોર્મ આપવા તૈયાર ન હતો. આખરે ગામ લોકોએ તથા તેના માતા-પિતાએ તેને સમજાવ્યો ત્યારે તે ફોર્મ આપવા તૈયાર થયો હતો. કિસ્સો-2 અન્ય એક કિસ્સામાં પતિના મૃત્યુ બાદ બીજા લગ્ન કરનાર મહિલાને તેના જૂના સાસરીવાળા કોઇ માહિતી આપવા તૈયાર ન હતા તથા તે મહિલા અધૂરું ફોર્મ પરત આપવા તૈયાર ન હતી. આખરે બીએલઓએ સમજાવતા તથા આસપાસના લોકો અને રાજકીય આગેવાન દ્વારા સમજાવતા તે મહિલા ફોર્મ આપવા તૈયાર થઇ હતી.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 5:56 am

ગળામાં AAPનો ખેસ અને મોઢે વાત BJPની!:તાજેતરમાં આપમાં ભળેલા નેતા ભાષણમાં ભૂલ કરી બેઠા; અધિકારી મેડમે BLOના રિફ્રેશમેન્ટ માટે કાર્યક્રમ ગોઠવ્યો!

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 5:55 am

હુડા:ભારતીય કિસાન સંઘે ખેડૂતોની માંગ સ્વીકારવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો

હૂડાના વિરોધમાં 12 ડીસેમ્બરે હિંમતનગર બંધનુ એલાન અપાયુ છે અને સંકલન સમિતિના સભ્યો વિવિધ વેપારી મંડળો સાથે મુલાકાત કરી સમર્થન મેળવી રહ્યા છે ત્યારે ભારતીય કિસાન સંઘે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખેડૂતોની લાગણીને માન આપી હૂડા હટાવ્યુ હોવાનુ યાદ કરાવી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ખેડૂતોની લાગણીને માન આપવા પત્ર લખ્યો છે. છેલ્લા ત્રણેક માસથી હુડાના વિરોધમાં હિંમતનગર આસપાસના 11 ગામના ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે અને તાજેતરમાં મુખ્યમંત્રીના હુડા બાબતે સ્પષ્ટ અભિપ્રાય ન મળ્યા બાદ 12 ડિસેમ્બર હિંમતનગર બંધનું એલાન અપાયું હતું. સંકલન સમિતિના ઉત્સવ પટેલે જણાવ્યું કે હાલમાં દરેક વેપારીને મળી અમારી સમસ્યા અંગે માહિતી આપતું પેમ્પલેટ આપી 12 મીના બંધમાં સહકાર આપવા અપીલ કરી રહ્યા છીએ. ભારતીય કિસાન સંઘના પ્રદેશ અધ્યક્ષ જગમાલભાઈ આર્ય અને પ્રદેશ મહામંત્રી આર.કે પટેલે તા.8-12-25 ના રોજ મુખ્યમંત્રીને પત્ર લખી જાણ કરી છે કે ભૂતકાળમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખેડૂતોના એક અવાજને કારણે ખેડૂત પુત્રી જેના હૈયામાં ખેડૂતોનુ હિત સમાયેલું હતું તેમણે એક ઝાટકે હુડા સ્થગિત કરી દીધું હતું. છતાં ફરીથી હુડા અમલી બનાવતા ખેડૂતોએ આંદોલન શરૂ કર્યુ છે અને 12 મી તારીખે હિંમતનગર બંધનું એલાન આપ્યુ છે. આક્રોશ આખા તાલુકામાં પ્રસર્યો છે સ્થાનિક જિલ્લા- તાલુકાના હોદ્દેદારો અને ખેડૂતો દ્વારા આ આંદોલન તાલુકા- જિલ્લા સ્તરે લઈ જઈ દૂર જરૂર પડ્યે ગાંધીનગર સુધી લંબાવવા માંગણી કરી છે. જેથી તાત્કાલિક દરમિયાનગીરી કરી હુડા તાત્કાલિક અસરથી રદ થાય તે દિશામાં કાર્યવાહી કરવી જરૂરી બની રહી છે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 5:53 am

કુલપતિએ કોલેજો સાથે સીધો સંવાદ કર્યો‎:ભાડાના મકાનમાં કોલેજ ચાલશે નહીં, પાંચ એકર જમીન અને મકાન ફરજિયાત જોઈએ નહીં તો જોડાણ નહીં મળે : કુલપતિ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન 600 ઉપરાંત કોલેજો કાર્યરત હોઈ લાંબા સમયથી અનેક કોલેજોમાં ગેરરીતિ થઈ રહી હોવાની કોલેજો દ્વારા જ રજૂઆતો મળતા તપાસ કમિટીઓ મૂકાઈ રહી છે. કુલપતિ દ્વારા પ્રથમવાર તમામ સંલગ્ન કોલેજોના મેનેજમેન્ટના લોકો સાથે સોમવારે બપોરે કેમ્પસના કન્વેશન હોલમાં સીધો સંવાદ કર્યો હતો. જેમાં મેનેજમેન્ટને ફરજિયાત જરૂરી કોલેજ સંચાલન માટેની શરતોનું પાલન કરવા માટે ટકોર સાથે વોર્નિંગ પણ આપી હતી. તો સામે કોલેજો દ્વારા પણ તેમના કેટલાક પ્રશ્નો કુલપતિ સમક્ષ રજૂઆત કરાઈ હતી જેનું ટૂંક સમયમાં નિરાકરણ લાવવા ખાતરી અપાય હતી. કુલપતિ ડૉ.કે.સી.પોરિયા દ્વારા સંવાદમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે કોલેજ માટે ફરજિયાત પણે પ્રથમ શરત એટલે કે પાંચ એકર જમીન અને પોતાનું મકાન હોવું ફરજિયાત છે. પરતું કેટલી જગ્યાએ પોતાના મકાન નથી શરતી મંજૂરી સાથે ભાડાના મકાનોમાં કોલેજો ચાલી રહી છે. આ હવે ચાલશે નહીં કોલેજ દ્વારા પોતાનું મકાન બનાવવા અને જમીન અંગે 2 વર્ષમાં કાર્યવાહી પૂર્ણ કરશે તેવી LICની ચકાસણીમાં 45 દિવસમાં ખાતરી આપવી પડશે. નહીં તો જોડાણ ચાલુ રહેશે નહી. ઉપરાંત એલઆઇસી કમિટીને પણ યુનિવર્સિટી દ્વારા નિયત કરેલ રકમનું કવર આપવાનું રહેશે. વધુ રકમનું કવર આપવું નહીં. કોલેજોની નવા વર્ષની જોડાણની કામગીરી માટે 597 એલ.આઇ.સી કમિટી બનાવી છે. જાન્યુઆરી સુધીમાં કોલેજોમાં lic કમિટીની વિઝીટ પૂર્ણ થઈ જશે. વધુમાં તેમને બેદરકારી અંગે જણાવ્યું હતું કે 61 કોલેજ એવી છે બે વાર પરિપત્ર કર્યા બાદ પણ કોઈ જ માહિતી આપી નથી. 29 કોલેજોને ડી એફિલેશન કરાઇ છે. જે કોલેજો ડી એફિલેશન કરવા માંગે છે તેમના હિતમાં 2.02 લાખ ના બદલે 31 ડિસેમ્બર સુધીમાં 50000 જ ફી રખાય છે તો તેઓ કરાવી શકે છે. કોલેજોએ આ પ્રશ્નો કુલપતિ સમક્ષ મૂક્યા કોલેજોમાં ફી ધોરણ વધારા મુદે લાંબા સમયથી કોઈ રિવ્યૂ થયો નથી, પરીક્ષાનો સમય પ્રથમ તબક્કાનો 11:30ના બદલે 10:30 રાખવામાં આવે, પ્રવેશ પ્રક્રિયામાં કોલેજોને કેટલીક બેઠકો ભરવાની સત્તા આપવામાં આવે, ક્વોલીફાઇડ સ્ટાફની અછત હોય જરૂરી સ્ટાફને શરતો આધિન છૂટછાટ સાથે ઓછા ક્વોલિ ફિકેસન સ્ટાફની ભરતી કરવા મંજૂરી, ડિગ્રી સર્ટી વિતરણ વ્યવસ્થા સુધારો જેવા વિવિધ પ્રશ્નો રજૂ કરાયા હતા. ભાસ્કર ઇનસાઇડહવે તો CMOમાંથી બોગસ કોલેજો ચાલતી હોવાના ફોન આવે છે, કમિશ્નર રિપોર્ટ માંગે છેસંવાદમાં સંબોધન દરમિયાન કુલપતિ પોતાના મુખ્યથી જ બોલી ઊઠ્યા હતા કે હવે સરકાર અને CMO ઓફિસ થી યુનિવર્સિટીમાં બોગસ કોલેજો ચાલતી હોય તેવા ફોન આવે છે અને તેના લિસ્ટ માંગે છે. સોમવારે જ સવારે શિક્ષણ કમિશ્નર વિભાગમાંથી ફોન આવ્યો હતો કે આ કોલેજ બોગસ છે. તેની સામે યુનિવર્સિટી દ્વારા શું કાર્યવાહી કરી છે. અમારે પણ હવે શિક્ષણ વિભાગમાં રિપોર્ટ અંગે માહિતી આપવાની હોય છે.કુલપતિના બોગસ કોલેજ ચાલતી હોવાના જાહેર નિવેદનને લઈ હોલમાં સન્નાટો છવાયો હતો.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 5:52 am

ડૉ. કલામનું વ્યક્તિત્વ ઉજાગર કરવા વક્તવ્ય‎:ડૉ.કલામે ભારતને પૃથ્વી, અગ્નિ, આકાશ, બ્રહ્મોસ જેવી સ્વદેશી મિસાઈલો આપી મિસાઇલ મેનનું બિરુદ મેળવ્યું હતું

પાટણ ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા સ્વ. કીર્તિકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલતા ‘મને જાણો’ કાર્યક્રમ હેઠળ રવિવારે એ.પી.જે. અબ્દુલ કલામ મહામાનવ વિષય પર વક્તવ્ય યોજાયું હતું. લાઈબ્રેરીના આસ્થા હોલમાં જયમાલાબેન અંબાલાલ પંચાલ દ્વારા ડૉ. કલામના જીવનની ઝાંખી કરાવવામાં આવી હતી. વક્તાએ જણાવ્યું કે, 15/10/1931ના રોજ રામેશ્વરમમાં જન્મેલા ડૉ. કલામ ભણવામાં સામાન્ય હોવા છતાં તેમનામાં આધ્યાત્મિકતા અને નવું શીખવાની અદમ્ય ધગશ હતી. 1969માં ISROમાં જોડાયા બાદ તેમણે પ્રોફેસર ધવન અને ડૉ. વિક્રમ સારાભાઈની પ્રેરણાથી ભારતને પૃથ્વી, અગ્નિ, આકાશ, બ્રહ્મોસ જેવી સ્વદેશી મિસાઈલો આપી મિસાઇલ મેનનું બિરુદ મેળવ્યું. 1980માં SLV-3 દ્વારા તેમણે ભારતનું સ્થાન વિશ્વના સ્પેશ ક્ષેત્રમાં સ્થાપિત કર્યું હતું. વક્તવ્યમાં તેમને મળેલા ભારત રત્ન, પદ્મવિભૂષણ જેવા સન્માનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે ગામડાઓના વિકાસ, ઇન્ટરનેટ અને ટેકનોલોજીના સદુપયોગ, ખેતી, શિક્ષણ અને આરોગ્ય પર ખાસ ભાર મૂક્યો હતો. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન ડૉ. શૈલેષ બી. સોમપુરાએ આપ્યું, જેમાં તેમણે લાઈબ્રેરીના નવા પ્રોજેક્ટ ચંદ્ર-કૃષ્ણા હૉલની માહિતી આપી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્વાન શ્રોતાઓએ પ્રશ્નોત્તરી દ્વારા વધુ માહિતી મેળવી જ્ઞાન સભર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પાટણમાં ડો. કલામનું વ્યક્તિત્વ ઉજાગર કરવા વક્તવ્ય યોજાયું હતું

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 5:49 am

યોગ શિબિરનું આયોજન:બડોલીમાં યોગ શિબિરમાં બે દિવસમાં 90 જેટલા લોકોએ નોંધણી કરાવી

ઇડરના બડોલીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ “મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન” અંતર્ગત એક માસીય સ્વસ્થ ગુજરાત – મેદસ્વીતા મુક્ત ગુજરાત યોગ શિબિર 10 નવેમ્બર 2025 થી 10 ડિસેમ્બર 2025 સુધી યોજાઈ રહી છે. શિબિર દરમિયાન યોગ ટ્રેનર જલ્પાબેન, દર્શનાબેન અને માધુરીબેન દ્વારા વિશેષ માર્ગદર્શન અપાઇ રહ્યું છે. શિબિરનું સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, સાબરકાંઠાના જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર ઉમંગભાઈ સુતરીયા દ્વારા કરાઇ રહ્યું છે. બપોરે 3 થી 4 વાગ્યા દરમ્યાન યોજાતી આ યોગ શિબિરમાં શરૂઆતથી જ ગામજનોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. માત્ર બે જ દિવસમાં 85 થી 90 જેટલા લોકોએ નોંધણી કરાવી દીધી હતી. યોગ શિબિર દરમ્યાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામ બહેનોનું હેલ્થ ચેકઅપ કરાયું હતું. સાથે જ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ પણ કરાયું હતું. યોગનું મહત્વ, સ્વસ્થ જીવનશૈલી અને શરીરની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે કયા યોગાસનો મદદરૂપ બને તે અંગે માર્ગદર્શન અપાયું હતું. તાલીમ લેતી મહિલાઓએ જણાવ્યું કે તેમને યોગ પ્રત્યે નવી સમજણ સાથે સ્વાસ્થ્ય લાભ પણ અનુભવો થયો છે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 5:49 am

શરણાઈ, શંખનાદ અને ઘંટનાદ વચ્ચે પ્રભુની પ્રતિષ્ઠા:શંખેશ્વર તીર્થમાં ઐતિહાસિક પ્રતિષ્ઠા મહોત્સવ ઉલ્લાસભેર સંપન્ન થયો‎

શંખેશ્વરમાં વર્ષોથી સુપ્રસિદ્ધ શ્રદ્ધાકેન્દ્ર સમા શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના સાનિધ્યમાં રવિવારે 7 ડિસેમ્બર ધર્મોત્સવનો મહાસાગર ઘૂઘવ્યો હતો. શ્રુતતીર્થના પ્રાંગણે સૂરિ રામચન્દ્ર સમુદાયના વરિષ્ઠ બાંધવબેલડી પૂજ્ય આચાર્ય પૂર્ણચન્દ્ર સૂરિજી અને તીર્થોદ્વારક આચાર્ય મુક્તિપ્રભ સૂરિજીની પાવનકારી નિશ્રામાં ઐતિહાસિક પ્રતિષ્ઠા મહોત્સવ ઉલ્લાસભેર સંપન્ન થયો. જેમાં 125 સાધુ-સાધ્વીજી અને હજારો પ્રભુ ભક્તોની ઉપસ્થિતિમાં જયઘોષ સાથે એકસાથે 12 પ્રભુજીની દિવ્ય પ્રતિમાઓને જિનમંદિરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. આ પ્રસંગે 9 શિખર પર ધ્વજાઓ ફરકાવવામાં આવી, જેણે આકાશને પણ ધન્ય બનાવ્યું. યુવાચાર્ય શ્રી યુગચન્દ્ર સૂરિજીએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું કે, પ્રભુને હૃદય મંદિરમાં બિરાજમાન કરવા માટે જીવનને નિર્મળ અને ઊર્જાથી ભરપૂર બનાવવું એ જ સાચું જિનશાસન છે. બપોરે 12 વાગ્યાના શુભ મુહૂર્તે શરણાઈ, શંખનાદ અને ઘંટનાદ વચ્ચે પ્રભુની પ્રતિષ્ઠા થતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું. ટ્રસ્ટ મંડળ અને જૈતિક્ભાઈ શાહની ટીમે ઉત્સવને આદર્શ દ્રષ્ટાંતરૂપ બનાવ્યો હતો. અંતમાં, ખુશીના પ્રતીક રૂપે લાભાર્થી સીતા કાંતિ પરિવારે શંખેશ્વર અને શંખલપુર ગામના તમામ 5000 ઘરોમાં સ્ટીલના ડબ્બામાં 500 ગ્રામ મીઠાઈનું વિતરણ કરવાની જાહેરાત કરતાં જનમેદનીએ તાળીઓના ગડગડાટથી તેને વધાવી લીધી હતી. આ ઉત્સવ સહુ ભક્તો માટે અવિસ્મરણીય સંભારણું બની રહ્યો. શંખેશ્વર તીર્થમાં ઐતિહાસિક પ્રતિષ્ઠા મહોત્સવ ઉલ્લાસભેર સંપન્ન

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 5:46 am

કલેક્ટર દ્વારા ડાયવર્ઝન અપાયું:દાવડ-આરસોડીયા -સપ્તેશ્વર રોડ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકાયો

સાબરકાંઠા જિલ્લાના ઇડર, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં વિવિધ કારણોને લઇને ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા અંગેનું જાહેરનામું કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ છે. જેમાં ઇડર તાલુકામાં દાવડ-આરસોડીયા-સપ્તેશ્વર રોડને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયો છે. જ્યારે તેના વૈકલ્પિક માર્ગ તરીકે હિંમતનગર-ઇલોલ દાવડ- દેશોતરથી વલાસણા થઇ રણશીપુર વિજાપુરનો ઉપયોગ કરવાનો રહેશે. પ્રાંતિજ હરસોલનો માર્ગ પ્રતિબંધિત જાહેર કરાયો છે. તેના વૈકલ્પિક માર્ગ તરીકે પ્રાંતિજ હાઇવે ત્રણ રસ્તાથી સલાલ ચોકડી સોનાસણ, રામપુર ચોકડી થઇ વાવડી ચોકડી તલોદ તરફ તથા તલોદ વાવડી ચોકડી તરફથી રામપુર ચોકડી થઇ સોનાસણ, ચોકડી થઇ પ્રાંતિજ તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 5:44 am

SIRની કામગીરી:અરવલ્લીમાં SIRની 100 ટકા કામગીરી પૂર્ણ, 27025 મતદારો મૃત, 5298 ડુપ્લીકેટ મળ્યા

અરવલ્લીમાં SIRની મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2025 અંતર્ગત જિલ્લામાં 100% ગણતરી ફોર્મ (EF) વિતરણ તથા સંકલનની કામગીરી સમયથી પહેલા પૂર્ણ થતાં રાજ્યમાં અરવલ્લી જિલ્લાએ રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છેે. કલેક્ટર પ્રશસ્તિ પારિક દ્વારા જિલ્લામાં 100% SIR ની કામગીરી પૂર્ણ થતાં તમામને અભિનંદન અને આભાર વ્યક્ત કર્યો છે. જિલ્લામાં સરની કામગીરી દરમિયાન કુલ 858753 મતદાર પૈકી ગણતરી દરમિયાન 27025 મતદારો મૃત નોંધાયા છે. જ્યારે 5298 મતદારો ડુપ્લીકેટ મળ્યા છે. કુલ 72677 મતદારોના નામ કમી થવાની શક્યતા રહેલી છે. કલેક્ટરે જણાવ્યું હતું કે ગણતરી ફોર્મનું ડિઝિટાઇઝેશન પણ પૂર્ણ કરી દેવાયું છે. 4,569 મતદારો ગેરહાજર હોવાનું નોંધાયું છે. તદઉપરાંત 358 અને કેટેગરીમાં મળી કુલ 72677, મતદારો “Uncollectable” શ્રેણીમાં નોંધાયા છે આ મતદાતાઓની નોંધો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. 16 ડિસેમ્બરના રોજ મુસદ્દા મતદાર યાદીનું પ્રસિદ્ધિ કરણ કરાશે. 16 ડિસેમ્બર સુધી મતદાતાઓ પોતાના નામના ઉમેરણ, કાઢી નાખવા, સુધારા-વધારા માટે ફોર્મ-6,7,8 અથવા 8-એ દ્વારા દાવો-વાંધો રજૂ કરી શકશે.બાદમાં 16 જાન્યુઆરી થી તા. 7 ફેબ્રુઆરી દરમિયાન દાવા-વાંધાની સુનાવણી તથા નિકાલ કરાશે. જે મતદારોએ BLOને પોતાની વિગતો આપી‎નથી તેઓ 11 ડિસેમ્બર સુધી આપી શકશે‎જે મતદાતાઓનું ગણતરી ફોર્મ ભરાયું નથી કે જેમણે હજુ સુધી પોતાની વિગતો આપી નથી. તેઓ આગામી તા. 11 ડિસેમ્બર 2025 સુધી પોતાના વિસ્તારના બુથ લેવલ ઓફિસર BLOનો સંપર્ક કરીને ફોર્મ ભરાવી શકશે અને પોતાનું નામ મતદારયાદીમાં જાળવી શકશે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 5:40 am

ભાસ્કર એક્સક્લુસિવ:બેરણા રોડથી રિલાયન્સ મોલ, કેનાલ 2.4 કિમી, હડીયોલથી સહકારીજીન વિસ્તાર થઈ નદી સુધી 7.07 કિમી લાંબી આરસીસી પાઇપ લાઈન નખાશે

શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત હિંમતનગર પાલિકાને વિકાસ કામો માટે મળેલ ફંડની ફાળવણી થયા બાદ પાલિકામાં નવા સમાવાયેલ વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા કુલ રૂ.7.35 કરોડના ખર્ચે બેરણા રોડ પર બ્રહ્માકુમારીથી રિલાયન્સ મોલ, કેનાલ 2.4 કિમી અને હડીયોલથી સહકારીજીન વિસ્તાર થઈ નદી સુધી 7.07 કિમી લાંબી આરસીસી ડકટ અને પાઇપ લાઈન નાખવા માટે પાલિકા દ્વારા કેટલીક શરતોને કારણે બીજી વખત ટેન્ડર કરાયું છે અને સમય મર્યાદા પણ નક્કી કરાઈ છે. હિંમતનગર શહેરના સહકારીજીન રોડ પંથકની નિકુંજ, સગુન, હડિયોલ રોડ પરનો રહેઠાણ વિસ્તાર ચોમાસામાં કાયમી ભરાઈ રહેતાં પાણીની સમસ્યા સામે ઝઝૂમે છે. તદુપરાંત હિંમતનગર શહેરમાં નવા સમાવાયેલા સર્વે નંબરના રહીશોને રેન વોટર હાર્વેસ્ટિંગ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન સહિતની પાલિકા સ્તરની સુવિધાઓ પૂરી પાડવા પણ માંગ થઈ રહી છે. આ કાયમી સમસ્યાના નિકાલ માટે રૂ.7.35 કરોડની ફાળવણી થઈ છે. નવા સમાવિષ્ટ વિસ્તોરોમાં રોડ-રસ્તા, ગટર અને સ્ટોર્મ ડ્રેનેજ તથા પાણીની સુવિધા જેવા મૂળભૂત માળખાકીય સુવિધાના કામોની જરૂર છે. જેનો સર્વે વગેરે કરી ડ્રાફ્ટ પ્લાન એસ્ટીમેટ વગેરે કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. નિકુંજ સોસાયટીના રહીશ સરદારસિંહ રાઠોડે જણાવ્યું કે સહકારી જીન વિસ્તારમાં આવેલ નિકુંજ, તેમજ સગુન સોસાયટીમાં ભરાતાં વરસાદી પાણીના નિકાલ માટે ફંડ મંજૂર કરાતાં ટેન્ડરિંગ પણ થયેલ છે. પણ આજદિન સુધી કામગીરી શરૂ થઈ નથી અને આ કામગીરી એકાદ માસમાં પૂર્ણ થાય તેવી નથી તો આ કામગીરી વહેલી શરૂ થાય તો આગામી ચોમાસામાં નાગરિકોને રાહત મળી શકે તેમ છે. 11 માસમાં આ કામગીરી પૂર્ણ કરવાની રહેશે‎પાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું કે રૂ.3,11,31,100ના ખર્ચે બ્રહ્માકુમારીથી રિલાયન્સ મોલ, કેનાલ 2.4 કિ.મી. અને રૂ.4,24,64,500ના ખર્ચે હડીયોલથી સહકારીજીન વિસ્તાર થઈ નદી સુધી 7.07 કિમી લાંબી આરસીસી ડકટ અને જરૂર હોય ત્યાં પાઇપ લાઈન નાખવા માટે પાલિકા દ્વારા ટેન્ડર કરાયું છે. 11 માસમાં આ કામગીરી પૂર્ણ કરવાની રહેશે. પરંતુ આ સુવિધા અગામી ચોમાસામાં મળી રહે તે માટે પૂરા પ્રયાસ કરાશે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 5:38 am

SIRની કામગીરી:સાબરકાંઠા જિલ્લાની તમામ ચારેય વિધાનસભામાં 100 ટકા ડિઝિટાઈઝેશન

સાબરકાંઠા જિલ્લાના તમામ ચાર વિધાનસભા મતવિસ્તારમાં સો ટકા ડિઝિટાઇઝેશન થઈ ગયું છે અને જેનું મેપિંગન થયું હોય તેવા 93,000 મતદારો પૈકી 40હજાર મતદારોનું છેલ્લા 10 દિવસમાં બીએલઓ અને ચૂંટણી વિભાગની મહેનતને પગલે મેપિંગ કરવામાં સફળતા મળતાં નામ કમી થવાનો સંભવિત આંકડો ગણો નીચે આવી ગયો છે. સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા મતવિસ્તારના કુલ 11,61,128 મતદારોની ડિઝિટાઇઝેશન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. ચૂંટણી આયોગના રેકોર્ડમાં તા.8-12-25ના રોજ મૃતકોની સંખ્યા 32,898 કાયમી સ્થળાંતર કર્યું હોય તેવા મતદારોની સંખ્યા 44,887 અને મેપિંગ ન થયું હોય તેવા મતદારોની સંખ્યા 52,208 છે. હાલમાં બીએલઓ અને ચૂંટણી વિભાગ મેપિંગ બાકી છે તેવા મતદારો માટે ડેટા એન્ટ્રીમાં ત્રુટી, જૂના રેકોર્ડમાં માતા-પિતા દાદા દાદીના નામ શોધવા મહેનત કરી રહ્યા છે. તા.28-11-25ના રોજ મેપિંગ ન થયું હોય તેવા 93,036 મતદાર હતા. એમાં અત્યાર સુધીમાં 40,828 મતદારોનું એટલે કે 43.89 ટકા મતદારોનું મેપિંગ કરવામાં સફળતા મળી છે. 100% ડિઝિટાઇઝેશન બાદ સ્થળાંતરિત અને નો મેપિંગ વાળા મતદારોની વિગતોની ચકાસણી પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. જેને કારણે નો મેપિંગની ટકાવારી સાત-આઠ ટકા સુધી પહોંચી હતી. તે ઘટીને 4.50 ટકા ઉપર આવી ગઈ છે અને હજુ તેમાં એકાદ બે ટકા એટલે કે 15 થી 20 હજાર મતદારોનો વધારો થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. એકંદરે પોણા બે લાખ મતદારોની યોગ્યતા સામે પ્રશ્નાર્થ ઉભો થયો હતો તે આંકડો એક લાખની આસપાસ આવી ગયો છે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 5:37 am

ભાસ્કર ઇમ્પેક્ટ‎:પાલનપુરની શાળામાં લટકતાં પથ્થર દૂર કરાયા

પાલનપુર કમાલપુરા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાનું જુનુ મકાન જર્જરિત બની જતાં કન્ડમ કરી તોડી પાડવામાં આવ્યું હતુ. તેની સામે નવું મકાન બનાવાયું છે. જોકે, જુના બિલ્ડિગના ભાગના કેટલાક કાટમાળના પથ્થર જોખમી રીતે લટકી રહ્યા હતા. તેની નીચેથી પસાર થતાં બાળકો ઉપર જોખમ તોળાતું હતુ. આ અંગે અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવતાં શાળા પરિવાર દ્વારા આ લટકતાં પથ્થરો દૂર કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 5:29 am

હડકાયા કૂતરાંનો આતંક:વાસણ (ધા)માં હડકાયા કૂતરાંએ બે બાળકોને બચકા ભર્યા

પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામે હડકાયા કૂતરાએ બે લોકોને બચકાં ભરતાં ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.કેટલીક હોસ્પિટલમાં રસી પણ નથી. પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામે કુતરૂ હડકાયું થતાં ભય પ્રસરી ગયો હતો. ગામમાંથી ખેતરો તરફ ગયેલા કુતરાએ ત્યાં રમતાં બે બાળકોને બચકાં ભર્યા હતા. બંને બાળકોના હાથના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જોકે, પરિવારજનો દોડી આવતાં કુતરૂ નાસી ગયું હતુ. ઇજાગ્રસ્ત બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ખેતરોમાં આગળ જતાં અજાણ્યા શખ્સોએ કૂતરાને મારી નાંખ્યું હતુ.નોંધનીય છે કે છેલ્લા 15 દિવસથી બનાસકાંઠામાં હડકાયા કૂતરા કરડવાના બનાવો વધી રહ્યા છે.જેને લઈ લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 5:17 am

CM જિલ્લાને આપશે 1000 કરોડના વિકાસ કામોની ભેટ:562 કરોડના ખર્ચે બનનાર બાયપાસનું 11મીએ ખાતમુર્હૂત

મુખ્યમંત્રીના હસ્તે પાલનપુર ગ્રીનફીલ્ડ બાયપાસનું ખાતમુર્હુત થયા બાદ બાયપાસ રોડ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે. સરકાર દ્વારા કુલ 562 કરોડના ખર્ચે 3 ભાગમાં આ ગ્રીનફીલ્ડ બાયપાસ બનાવવાની કામગીરી કરાશે. વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાની રજૂઆતને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને દિશા નિર્દેશ આપ્યા હતા જેના પગલે ઝડપથી જમીન સંપાદન થયા બાદ હવે ખાતમુર્હુત કરાશે.આયોજનને લઈ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. વર્તમાન પાલનપુર શહેરમાંથી અમદાવાદ, દિલ્હી, રાજસ્થાન, કંડલા તરફ જતા વાહન વ્યવહાર શહેરના એરોમા સર્કલથી પસાર થાય છે. દિન પ્રતિદિન વધેલ વાહન વ્યવહારના લીધે પાલનપુર શહેરના એરોમા સર્કલ પર ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. હાલમાં પાલનપુર શહેરના એરોમા સર્કલથી અંદાજે 66,00 જેટલા મોટા વાહનો સાથે કુલ 29,500 જેટલા વાહનો પસાર થાય છે. પાલનપુર બાયપાસની કામગીરી માટે કુલ 14 ગામની 157.81 હે. જમીન સંપાદનની કામગીરી પૂર્ણ કરાઈ છે. આ ગ્રીનફીલ્ડ બાયપાસ રોડ આબુરોડ પર આવેલ સોનગઢ ગામથી શરૂ થઈ ચડોતર ગામ પાસેથી પસાર થઈ જગાણા ગામ પાસે અમદાવાદ હાઇવે સાથે કનેક્ટ કરાશે. ગ્રીનફીલ્ડ બાયપાસ રોડની કામગીરી કુલ 3 ભાગમાં કરાશે જેની કુલ લંબાઈ 24.5 કિલોમીટર રહેશે. બાયપાસ ઉપરાંત આગામી 11 ડિસેમ્બરે મુખ્યમંત્રીના હસ્તે જિલ્લાના 7થી વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને 15થી વધુ વિકાસ કામોનું ખાતમુર્હુત કરાશે,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાલનપુર રામલીલા મેદાન સ્થિત સશક્ત નારી મેળાની મુલાકાત લેશે તથા પાલનપુર ટાઉનહોલ ખાતે કાર્યક્રમ યોજાશે. આ કામોનું થશે ખાતમુર્હૂત આ કામોનું લોકાર્પણ થશે • ઉમરદશી નદી ઉપર 6 માર્ગીય રસ્તાને અનુરૂપ નવીન 4 માર્ગીય પુલનું, • ગઠામણ જંકશન ઉપર વીયુપીના કામનું, • પી.એચ.સી. મડાણા (ગઢ), • પી.એચ.સી. વેડંચા, પાલનપુર ખાતે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાસભર સરકારી કુમાર છાત્રાલયનું, • કીડોતર પ્રાથમિક શાળા અને સેજલપુરા પ્રાથમિક શાળાના 22 નવીન વર્ગખંડોનું ભાસ્કર ઈન્સાઈડત્રણ તબક્કામાં બાયપાસ પૂરું થશે, શહેરની ટ્રાફિક સમસ્યા દૂર થતા 2 વર્ષ લાગશેજો કોઈ વિઘ્ન આવ્યું તો બાયપાસનું કામ અંદાજિત બે વર્ષ સુધી ચાલશે. જુદા જુદા ત્રણ ફેસમાં કામગીરી હાથ ધરાશે. માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું કે સૌરાષ્ટ્રની એસપીજી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા જગાણા અને સોનગઢ બે ફેઝમાં 90 – 90 કરોડના ખર્ચે 12 – 12 કિલોમીટરની કામગીરી કરશે. જ્યારે ત્રીજું કામ ખોડલા રેલવે સ્ટેશન પર 150 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનું કામ નવી એજન્સી કરશે જેને લઇ હાલ ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 5:16 am

ભાસ્કર એક્સક્લુસિવ:ચાંગા પંચાયતના શાસકોએ વર્ષો અગાઉ ગૌચરમાં પ્લોટ જ્યાં ફાળવ્યા ત્યાં કોઈ રહેવા તૈયાર નથી

ચાંગા પંચાયતના શાસકોએ વર્ષો અગાઉ રહેવા માટેના પ્લોટ એવી જગ્યાએ ફાળવ્યા કે વરસો પછી પણ ત્યાં કોઈ રહેવા જવા તૈયાર નથી. વાત વડગામ નજીકના ચાંગા ગામની છે. અહીં નદીનો પટ આવેલો છે જ્યાં આજુબાજુ ગીચ ઝાડી ઝાંખરા અને બાવળીયામાં ઊંચી નીચી લેવલ કર્યા વિનાની ઢોળાવવાળી જમીન અને એમાંય આખા ગામનો ગંદુ પાણી ત્યાં એકઠું થાય ત્યાં પ્લોટિંગ કરવામાં આવ્યું. જે માત્ર કાગળ પર નકશો બનીને રહી ગયો. વડગામ તાલુકામાં ચાંગા ગામમાં વર્ષો પૂર્વે ગામના જરૂરિયાતમંદ પરિવારોને રાહતના પ્લોટ આપવા જે જગ્યા પસંદ કરવામાં આવી તે જગ્યાને 30 થી 35 વર્ષ થવા આવ્યા હોવા છતાં એક પણ પરિવારે ફાળવેલા પ્લોટમાં રહેવા ગયું નથી. ગામની બાજુમાંથી ઉમરદસી નદીનો પટ, આજુબાજુ ગીચ ઝાડી ઝાંખરા અને બાવળીયામાં ઊંચી નીચી લેવલ કર્યા વિનાની ઢોળાવવાળી જમીન અને એમાંય આખા ગામનો ગંદુ પાણી ત્યાં એકઠું થાય છે એટલે વર્ષોથી જ્યાં પ્લોટ ફાળવાયા હતા ત્યાં કોઈ રહેવા ગયું નહીં. કરસનભાઈ એ જણાવ્યું કે જરૂરિયાતમંદ પરિવારોને એવી જગ્યાએ પ્લોટ આપવામાં આવ્યા છે જેનો કોઈ મતલબ નથી. પંચાયતના સૂત્રોએ જણાવ્યું કે 261 / 1 એક સર્વે નંબર પર 600 600 ફૂટના 187 પ્લોટ ફાળવવા ગામ તળ નીમ કરાયું હતું. જેમ જેમ હુકમો આવતા ગયા તેમ તેમ 187 પૈકી 100 થી વધુ પરિવારોને પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જોકે ત્યાં કબજો મેળવ્યો કે કેમ તે અંગે પૂછતા પંચાયતના સૂત્રોએ જણાવ્યું કે જગ્યા પ્રતિકૂળ હોવાથી પરિવારજનો ત્યાં રહેવા જઈ શક્યા નથી. 1.12 લાખ ફૂટ જગ્યા પ્લોટ માટે ફાળવાઈવડગામ તાલુકાના ચાંગા ગામમાં 34 વર્ષ પૂર્વે 1991માં તત્કાલીન કલેક્ટર દ્વારા સર્વે નંબર 263/1 પૈકી પાંચ એકર જમીન નવાગામ માટે નીમ કરવામાં આવી હતી. પાંચ એકર (2.17 લાખ ફૂટ) જગ્યા પૈકી 1.12 લાખ ફૂટ જગ્યા માં 600 600 ફૂટના 187 પ્લોટ જરૂરિયાત મંદ લોકો માટે પ્લોટીંગ પાડવામાં આવ્યું હતું અને જરૂરિયાત મુજબ સનદો આપવામાં આવતી હતી.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 5:10 am

આપઘાત કરવા જતી યુવતીને લોકોએ બચાવી:પાટણના તબીબે ગર્ભાશય કાઢયાના આક્ષેપ સાથે યુવતી‎કેનાલમાં આપઘાત કરવા પહોંચી, લોકોએ બચાવી‎

થરાદમાં જીજ્ઞેશ મેવાણીની સભામાં જાહેર મંચ ઉપરથી પાટણના તબીબે ગર્ભાશય કાઢી નાંખ્યુ છે. તેની સામે કાર્યવાહી નહી થાય તો કેનાલમાં પડી આપઘાત કરીશ તેવી ચીમકી આપનાર જીઆરડીમાં ફરજ બજાવતી યુવતી સોમવારે વડા નજીક કેનાલમાં આપઘાત કરવા પહોંચી હતી. જોકે, લોકોએ તેને બચાવી લીધી હતી. કાંકરેજ તાલુકાના વડા ગામના જી. આર. ડીમાં ફરજ બજાવતાં તેજલબા ચંદુભા વાઘેલાએ થરાદમાં જીજ્ઞેશ મેવાણીની જાહેર સભામાં મંચ ઉપરથી કહ્યુ હતુ કે, પાટણના તબીબે ગાંઠનું ઓપરેશન કરવાને બદલે ગર્ભાશય કાઢી નાંખ્યું હતુ. તેની સામે કાર્યવાહી કરવા માટે પાટણ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે રજૂઆત કરી છે. પરંતુ કાર્યવાહી થતી નથી. ન્યાય નહી મળે તો કેનાલમાં પડી આપઘાત કરીશ. દરમિયાન યુવતી સોમવારે ખાખી વર્દીમાં વડા ગામ નજીક કેનાલમાં આપઘાત કરવા માટે ગઇ હતી. જ્યાં સ્થાનિક લોકોએ બચાવી હતી. પાટણના તબીબે ગર્ભાશય કાઢી નાખ્યુ હોવાના આક્ષેપ કરી યુવતી વડા નજીક કેનાલમાં આપઘાત કરવા પહોંચી, લોકોએ બચાવી લીધી હતી

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 5:09 am

પ્રગતિશીલ ખેડૂતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી:એરંડા અને ઘઉંમાં દેશી ગાયના છાણીયા ખાતરના ઉપયોગથી ઉત્પાદનમાં વધારો

રાધનપુર તાલુકાના બંધવડ ગામના પ્રગતિશીલ ખેડૂત મેરાજભાઈ રબારી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને નવો રાહ ચીંધ્યો છે. પરંપરાગત ખેતીથી વિપરીત, મેરાજભાઈ તેમના એરંડા અને ઘઉંના પાકમાં રાસાયણિક ખાતરો કે દવાઓનો ઉપયોગ જ નથી કરતા. ​તેઓ ફક્ત દેશી ગાયના છાણીયા ખાતર અને જૈવિક દ્રાવણોથી ખેતી કરી રહ્યા છે. આના પરિણામે ઉત્પાદનની ગુણવત્તામાં જબરદસ્ત વધારો થયો છે, જેનાથી બજારમાં તેમના પાકને વિશેષ માંગ અને ઊંચા ભાવ મળી રહ્યા છે. ​આ સફળતામાં સરકારની 900ની ગાય પોષણ સહાય યોજના બહુ મદદરૂપ બની છે. આ સહાયથી ગાયોનું ઉત્તમ પાલન શક્ય બન્યું છે અને પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધાર એવું છાણીયું ખાતર પૂરતા પ્રમાણમાં મળી રહે છે. મેરાજભાઈનો આ પ્રયોગ સાબિત કરે છે કે પ્રાકૃતિક ખેતીથી ખર્ચ ઘટે છે અને આવક વધે છે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 5:04 am

લોડિંગ વાહનો બંધ કરાવવા મૌખિક રજૂઆત‎:હારિજ મુખ્ય બજારમાં લોડિંગ વાહનો બંધ કરાવવા વેપારીઓએ માંગણી કરી

હારિજ ખાતે હાઇવે ચાર રસ્તાથી મુખ્ય બજારથી માર્કેટયાર્ડથી ભારે લોડિંગ વાહનો પસાર થતા હોય બજારોમાં ત્રાફિકજામ સર્જાય છે. અને ધૂળ ઉડતી હોઈ પ્રદુષણ થતું હોઈ વેપારીઓએ પાલિકામાં જઈ મોટા લોડિંગ વાહનો બંદ કરાવવા મૌખિક રજૂઆત કરવામાં આવી છે. હારિજ બાયપાસ રોડ બનતો હોઈ બાયપાસ રોડ પર લોડિંગ વાહનો પર પ્રતિબંધ લગાવતા છેલ્લા ત્રણ માસ ઉપરાંતથી હારિજ મુખ્ય બજારમાંથી મોટા રેત ભરેલા ટર્બાઓ તેમજ લોડિંગ ટ્રકો અન્ય વાહનો પસાર થાય છે. જેને લઈ બજારમાં ટ્રાંફિક જામ થાય છે. અને ધૂળ ઊડતી હોઈ બજારોના વેપારી આલમ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જેને લઈ સોમવારના રોજ વેપારીઓનું એક ટોળું પાલિકામાં જઈ બજારમાં ભારે વાહનો બંદ કરવા રજૂઆત કરવામાં આવી હતી. નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે ભારે વાહનો બંદ કરવા પ્રતિબંદ ફરમાવવા પ્રાંત ઓફિસરને 17 નવેમ્બર ના રોજ લેખિત રજૂઆત કરવામાં આવી છે. પણ પ્રતિબંધ લાગુ પડતું જાહેરનામું હજુ જાહેર કરાયું નથી.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 5:03 am

ગ્રામજનોની વર્ષો જૂની રોડની સમસ્યા દૂર થશે:ખોલવાડાથી માળીપુરા સુધી 1.75 કરોડનો રોડ બનશે , ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત

સિદ્ધપુર તાલુકાના વિકાસને ખોલવાડા ગામથી માળીપુરા નદી તરફ જતો વર્ષો જૂનો બિસ્માર બનેલ રોડ અંતે હવે 1.75 કરોડના ખર્ચે નવીન બનાવવા રોડનું શુભ ખાતમુહૂર્ત ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું. ખેડૂતો, વેપારીઓ અને ગ્રામજનો માટે પરિવહન સુવિધા સરળ બનશે. આ પ્રસંગે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આ રોડ માત્ર ડામરનો માર્ગ નથી, પરંતુ ખોલવાડા અને માળીપુરા આસપાસના વિસ્તારના સર્વાંગી વિકાસની કડી છે. તેમણે ઉમેર્યું હતું કે, અત્યાર સુધી પરિવહન સુવિધાઓમાં જે મુશ્કેલીઓ પડતી હતી, તે હવે દૂર થશે. ખેતીના માલનું વહન, રોજિંદી અવરજવર અને વ્યવસાય માટે આ માર્ગ ખૂબ જ સુલભ બનશે. આનાથી ગ્રામજનોને જીવન સરળ બનશે અને આર્થિક પ્રવૃત્તિઓને મોટો ફાયદો મળશે. સરકારના વિકાસના મંત્રને સાર્થક કરતો આ નવો રોડ સમગ્ર પંથકના ગ્રામજનો માટે મોટો રાહતરૂપ સાબિત થશે. ખાતમુહૂર્ત પ્રસંગે દિલીપજી ઠાકોર, ગોપાલજી રાજપૂત, મહેન્દ્રભાઈ પરમાર, વિષ્ણુભાઈ પટેલ, વિક્રમસિંહ ઠાકોર, અશોકભાઈ પટેલ, લાખાભા દેસાઈ સહિત સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 5:02 am

સામાન્ય વર્ગની 6 બેઠક ઘટી 25માંથી 19 થઈ‎:પાટણ જિ.પંચાયત બેઠકોનું ગણિત બદલાયું, 6 બેઠક OBCની વધી, સામાન્ય વર્ગને ફટકો

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પાટણ જિલ્લા પંચાયતની 32 બેઠકોનાં પ્રકાર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં સામાજિક શૈક્ષણિક વર્ગની અનામત 10 ટકાથી વધી 27 ટકા થતાં બક્ષીપંચની છ બેઠકોમાં વધારો થયો છે. સામે સામાન્ય વર્ગની છ બેઠકો ઘટી છે. 17 માર્ચ 2026ના રોજ પાટણ જિલ્લા પંચાયતની ચૂંટાયેલી બોડીની મુદત પૂરી થઈ રહી છે. ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જિલ્લા પંચાયતની 32 બેઠકોના પ્રકાર નક્કી કરી દીધા છે. જેમાં 32માંથી 50 ટકા 16 બેઠકો મહિલાઓને ફાળવવામાં આવી છે. એટલે 16 બેઠકો પર મહિલાઓ ચૂંટણી લડશે. તે નિશ્ચિત છે. 32માંથી ત્રણ બેઠક અનુસૂચિત જાતિની છે જેમાં બે મહિલાઓની છે. અનુસૂચિત જનજાતિની એક જ બેઠક છે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની નવ બેઠક નક્કી કરવામાં આવી છે. જેમાં પાંચ બેઠક મહિલાઓની છે. સામાન્ય વર્ગની કુલ 19 બેઠક છે. જેમાં નવ બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. 2021માં સામાન્ય વર્ગની 25 બેઠક હતી જે ઘટી 19 થઈ2021માં પાટણ જિલ્લા પંચાયતની 32 બેઠકોમાંથી 25 બેઠક સામાન્ય વર્ગની હતી. આ વખતે છ બેઠકોનો ઘટાડો થતાં 19 થઈ છે. બક્ષીપંચની માત્ર ત્રણ બેઠક હતી. તે વધીને નવ થઈ છે. અનુસૂચિત જાતિની ત્રણ બેઠક હતી અને અનુસૂચિત જનજાતિની એક બેઠક હતી જેમાં આ વખતે કોઈ વધારો કે ઘટાડો થયો નથી.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 5:01 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મોદીએ કહ્યું, કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કર્યા; બાબરી જેવી મસ્જિદ માટે 11 પેટી ભરીને દાન મળ્યું; જિયોસ્ટારમાં T-20 વર્લ્ડ કપ નહિ જોવા મળે

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર લોકસભામાં વંદે માતરમ પર ચર્ચાના રહ્યા. પીએમ મોદીએ કોંગ્રેસ પર વંદે માતરમના ટુકડા કરવાનો આરોપ લગાવ્યો. બીજા સમાચાર ચાંદી વિશે હતા, જે અત્યાર સુધી સૌથી મોંઘી બની છે ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર કાલના મોટા સમાચારો 1. વંદે માતરમ ગીત પર લોકસભામાં 10 કલાક ચર્ચા, મોદીએ કહ્યું- કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કર્યા, પ્રિયંકાએ પણ જવાબ આપ્યો લોકસભામાં વંદે માતરમ પર 10 કલાક ચર્ચા થઈ હતી. ચર્ચાની શરૂઆતમાં PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કર્યા. જવાહરલાલ નહેરુ જિન્નાહ સામે ઝૂક્યા હતા. વંદે માતરમ આઝાદીના સમયથી પ્રેરણાનું સ્ત્રોત હતું તો પછી તેની સાથે છેલ્લા દાયકામાં અન્યાય કેમ થયો. વંદે માતરમના 150 વર્ષ પૂરા થવા પર ચાલી રહેલી ચર્ચામાં પ્રિયંકા ગાંધીએ સવાલ પૂછ્યો કે, આ ગીત 150 વર્ષથી દેશની આત્માનો હિસ્સો છે. 75 વર્ષથી લોકોના દિલમાં વસેલું છે. તો આજે તેના પર ચર્ચા કેમ થઈ રહી છે? વાંચો સંપૂર્ણ સમાચાર 2. ક્રિકેટરસિકો ભારતમાં T-20 વર્લ્ડ કપ નહીં જોઈ શકે!:ટુર્નામેન્ટના 3 મહિના પહેલાં ICC ફસાઈ, જિયોસ્ટાર બ્રોડકાસ્ટમાંથી પાછળ હટ્યું; હવે આગળ શું? 2026માં ભારત-શ્રીલંકામાં યોજાનારા મેન્સ T20 વર્લ્ડ કપના 3 મહિના પહેલાં બ્રોડકાસ્ટર જિયોસ્ટાર પ્રસારણમાંથી પાછળ હટી ગયું છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે જો આ ડીલ ફાઇનલ ન થઈ તો શું વર્લ્ડ કપની મેચો ભારતમાં નહીં દેખાય? રિલાયન્સના નિયંત્રણ હેઠળના જિયોસ્ટારે ICC સાથે 2024-27ના ઇન્ડિયા મીડિયા રાઇટ્સ ડીલમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો છે. જિયોસ્ટારે ICCને કહ્યું છે કે ભારે નાણાકીય નુકસાનને કારણે તે ચાર વર્ષની ડીલના બાકીનાં બે વર્ષ પૂરાં કરી શકશે નહીં. વાંચો સંપૂર્ણ સમાચાર 3. MPમાં કોલ્ડવેવનું એલર્ટ, ભોપાલમાં પારો 7C:શ્રીનગરમાં પારો શૂન્યથી નીચે, બરફવર્ષાની શક્યતા; રાજસ્થાનમાં એક અઠવાડિયા માટે ઠંડીથી રાહત ઉત્તર ભારતમાં કોલ્ડવેવની અસર યથાવત છે. પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના ઘણા ભાગોમાં રવિવારે લઘુત્તમ તાપમાન ત્રણથી સાત ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. મધ્ય પ્રદેશમાં ઠંડા પવનોએ ઠંડીમાં વધારો કર્યો છે. હવામાન વિભાગે સોમવારે મધ્ય પ્રદેશમાં કોલ્ડવેવનું એલર્ટ જાહેર કર્યું છે. ભોપાલમાં છેલ્લા 3 દિવસથી કોલ્ડવેવ ચાલી રહ્યું છે. અહીં રવિવારે પારો 7 ડિગ્રી સુધી ગગડી ગયો. 17 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોંધાયું. ગ્વાલિયર, ચંબલ, ઉજ્જૈન અને સાગર સંભાગમાં કોલ્ડવેવની અસર સૌથી વધુ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. બંગાળમાં બાબરી જેવી મસ્જિદ માટે 11 પેટી દાન મળ્યું:હુમાયુ કબીરે નોટ ગણવાનું મશીન મગાવ્યું; ₹93 લાખ ઓનલાઇન મળ્યા પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં TMCમાંથી સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય હુમાયુ કબીરે 6 ડિસેમ્બરે બાબરી જેવી મસ્જિદનો પાયો નાખ્યો. બાબરી ધ્વંસની 33મી વરસી પર આ મસ્જિદનું શિલાન્યાસ કરવામાં આવ્યું. કબીરે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મંચ પર મૌલવીઓ સાથે રિબન કાપીને ઔપચારિકતા પૂરી કરી. હવે આ મસ્જિદ માટે એકઠા કરાયેલા દાનનો એક વીડિયો સામે આવ્યો છે. હુમાયુ કબીરે ફેસબુક પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં કેટલાક લોકો નોટો ગણતા જોવા મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શિલાન્યાસ સમારોહમાં 11 પેટી દાન એકત્ર થયું, જેને ગણવા માટે 30 લોકો અને નોટ ગણવાનું મશીન રાખવું પડ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ચાંદીની કિંમત ઓલ ટાઈમ હાઈ:900 રૂપિયા મોંઘી થઈને ₹1.79 લાખ પ્રતિ કિલો વેચાઈ રહી છે; સોનાનો ભાવ ₹1 લાખ 28 હજારને પાર આજે એટલે કે 8 ડિસેમ્બરે ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ પહોંચી ગયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 1 કિલો ચાંદીનો ભાવ 900 રૂપિયા વધીને 1,79,110 રૂપિયાની રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયો છે. આ પહેલા ચાંદીની કિંમત 1,78,210 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. જ્યારે, આજે સોનાના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. 10 ગ્રામ સોનું 99 રૂપિયા મોંઘું થઈને 1,28,691 રૂપિયા પર પહોંચી ગયું છે. આ પહેલા સોનું 1,28,592 રૂપિયાનું હતું. ગયા કારોબારી સપ્તાહમાં સોનું 2,001 રૂપિયા અને ચાંદી 13,851 રૂપિયા મોંઘી થઈ છે. સોનાએ 17 ઓક્ટોબરે 1,30,874 રૂપિયાની ઓલ ટાઈમ હાઈ બનાવી હતી.વાંચો સંપૂર્ણ સમાચાર 6. 719 કરોડનું સાયબર ફ્રોડ, ગેંગની ભાવનગરથી ધરપકડ:ઇન્ડસઇન્ડ બેંકમાં 100થી વધુ ફેક એકાઉન્ટ ખોલ્યાં, 10 આરોપી સામે 1,544 ગુના, બે બેંકકર્મીની સંડોવણી ગુજરાત સ્ટેટ સાયબર સેલે 719 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરી ભાવનગરથી 10 લોકોની ગેંગની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં બે ઇન્ડસઇન્ડ બેંકના કર્મચારી છે. આ ગેંગ ભાવનગરની ઇન્ડસઇન્ડ બેંકમાં 100થી વધુ ફેક એકાઉન્ટ ખોલી છેતરપિંડીનાં નાણાંની હેરાફેરી કરતી હતી. તપાસમાં સામે આવ્યું કે આ ગેંગ 1,544 સાયબર ગુનામાં સક્રિય હતી. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ આ નેટવર્ક દ્વારા મ્યૂલ એકાઉન્ટ્સ પૂરાં પાડવામાં આવતાં હતાં. ઇન્વેસ્ટમેન્ટ સહિત વિવિધ પ્રકારનાં ઑનલાઇન ફ્રોડના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી. નાણાંની લેવડદેવડને 3થી 4 સ્તરમાં વહેંચીને ટ્રાન્ઝેક્શન કરવામાં આવતાં હતાં, જેથી તપાસ એજન્સીઓ તેમના સુધી પહોંચી ન શકે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ચોરે ચોરીના પૈસા પોલીસના હાથે મેળવી ફોટોસેશન કર્યું:સુરતમાં રત્નકલાકારે મકાનમાલિકના ઘરમાંથી અઢી લાખ ચોર્યા; બાઇકમાં થેલી ભૂલ્યાનું નાટક રચ્યું, સો.મીડિયાથી ભાંડો ફૂટ્યો લોકો માટે સોશ્યિલ મીડિયા ક્યારેક નુકસાનકારક તો ક્યારેક ફાયદાકારક સાબિત થયું હોય છે અને આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. રાંદેર પોલીસને રોકડા રૂ. 2.69 લાખ લટકાવેલી થેલી સાથે બિનવારસી હાલતમાં એક બાઈક મળી હતી. પોલીસે બાઇકના નંબરના આધારે તેના મૂળ માલિક હીરાના કારખાનામાં મેનેજરને શોધીને પરત કરી હતી. દર વખતની જેમ આ વખતે પણ પોલીસે રૂપિયા પરત આપતો વીડિયો બનાવ્યો અને મૂળ માલિકની ખરાઈ કર્યા વગર રોકડ રકમ પરત કરી દીધી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ઇન્ડિગોની 7મા દિવસે પણ 200+ ફ્લાઇટ રદ:સુપ્રીમ કોર્ટે સુનવણી કરવાનો ઇનકાર કર્યો, કહ્યું- અમે એરલાઇન ચલાવી શકતા નથી વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પાકિસ્તાને કહ્યું- જયશંકરનું નિવેદન ઉશ્કેરણીજનક:વિદેશ મંત્રીએ કહ્યું હતું- PAK આર્મી ભારતની ઘણી સમસ્યાઓનું કારણ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પરિયોજના વિરુદ્ધ RSS:પર્યાવરણવાદીઓ બોલ્યા- 7 હજાર દેવદારના વૃક્ષો કપાશે, મા ગંગા સુકાઈ જશે, હિમવર્ષા નહીં થાય વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : થાઇલેન્ડની કંબોડિયા પર એરસ્ટ્રાઇક:ટ્રમ્પે બે મહિના પહેલાં જ યુદ્ધવિરામ કરાવ્યો હતો; શિવ મંદિર મામલે 2 દેશ વચ્ચે ફરી યુદ્ધ શરૂ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : હવે ભારતમાં ડાયરેક્ટ સેટેલાઇટથી ઇન્ટરનેટ મળશે:ઇલોન મસ્કનું 'સ્ટારલિંક' ₹8,600 પ્રતિ મહિને 220+ Mbpsની સ્પીડે અનલિમિટેડ ઇન્ટરનેટ આપશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : અભિષેક શર્મા પાકિસ્તાનમાં સૌથી વધુ સર્ચ કરાયેલા ક્રિકેટર:ટોપ-5માં એકમાત્ર બિન-પાકિસ્તાની; ભારતમાં વૈભવ સૂર્યવંશી ટોપ સર્ચ પ્લેયર વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે આ બ્રાઝિલિયન વૃક્ષ તેના જીવનમાં ફક્ત એક જ વાર ખીલે છે બ્રાઝિલના રિયો ડી જાનેરોના એક પાર્કમાં પોમ ટ્રીમાં 60 વર્ષ પછી ફૂલ ખીલ્યા છે. આ વૃક્ષો 1960ના દાયકામાં પ્રખ્યાત લેન્ડસ્કેપ આર્કિટેક્ટ રોબર્ટો બર્લે માર્ક્સ દ્વારા ભારત અને શ્રીલંકાથી અહીં લાવવામાં આવ્યા હતા. આ વૃક્ષ 80 વર્ષ સુધી જીવે છે અને તેના જીવનમાં ફક્ત એક જ વાર ખીલે છે. ખીલવાના સમયે તેની વચ્ચેથી મોટો પુષ્પગુચ્છ નીકળે છે, જેમાં લાખો સફેદ ફૂલ હોય છે. ઝાડની ઊંચાઈ લગભગ 98 ફૂટ હોય છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ગ્લોબલ ગુજરાતી-1 'જ્યારે સ્વામી બોલ્યા, પટેલ થઈને નોકરી કરે છે?':દાદાએ ગાંધીજીની પ્રેક્ટિસ આફ્રિકામાં શરૂ કરાવી, પ્રમુખ સ્વામીના આશીર્વાદથી દવાની દુકાન શરૂ કરી 2. ભાસ્કર ઈન્ટરવ્યૂ : 'પશુઓ સાથે શૂટિંગમાં પરસેવો છૂટી ગયો’:બકરીનું બચ્ચું પાસે આવીને ચાટવા લાગ્યું તો આંખમાં આંસુ આવ્યાં, ગુજરાતી ફિલ્મ 'જીવ'માં કચ્છના રાપરની કહાની 3. મંડે મેગા સ્ટોરી : શું 'વંદે માતરમ્'માં મુસલમાનોને મારવાનું આહવાન?:ગાંધીજીએ અલ્લાહુ અકબર સાથે સરખામણી કરી હતી, નહેરુએ એક ભાગ કેમ હટાવ્યો?; સંપૂર્ણ કહાની 4. આજનું એક્સપ્લેનર:શું RBIએ જાણીજોઈને રૂપિયો ઘટવા દીધો કે કોઈ મોટી અનહોની; રેકોર્ડ 1 ડોલર 90 રૂપિયાને પાર જવાથી સામાન્ય લોકો પર શું અસર? 5. ‘વંદે માતરમ’ લખનારા બંકિમચંદ્રને કેમ વીસરી મમતા સરકાર:વંશજોએ કહ્યું- જેને ધરોહર બનાવ્યું એ જર્જરિત, અમને કોઈ પૂછનાર નથી 6. ક્રેડિટ સ્કોર કરો તો CIBIL ઘટી જાય?:લોન અને CIBILની 6 મોટી ગેરસમજણ, લોન 'સેટલ' કરવી ફાયદાકારક છે? 3 ચીજથી સ્કોર સુધરશે! 7. 300 બોટ કિનારે લાગી, પ્રવાસીઓનાં મોઢાં વીલાં, નળ સરોવર સૂમસામ:સરકારની SOP, બોટ-સંચાલકોની ખેંચતાણમાં વિદેશી પક્ષીઓને નિહાળવાની મજા બગડી, આ વખતની સિઝન ફેલ કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: મેષ, કર્ક અને કુંભ રાશિ માટે 'મંગળ' દિવસ, વૃષભ, સિંહ અને મીન રાશિના જાતકોએ સાવધાની રાખવી (સંપૂર્ણ રાશિફળ વાંચો)

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 5:00 am

તમંચા સાથે ઇસમની ધરપકડ:સાંતલપુરના દહીગામડા પાસેથી તમંચા સાથે એક શખ્સ પકડાયો

સાંતલપુરના દહીગામડા પાટીયા નજીકથી એસ.ઓ.જી પોલીસે બાતમી આધારે તમંચા સાથે રાણીસર ગામના શખ્સને પકડી પાડ્યો હતો. અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. પાટણ એસઓજીનીના પીઆઇ જે‌.જી સોલંકીના માર્ગદર્શન નીચે વારાહી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વખતે પોલીસને બાતમી મળી હતી કે દહી ગામડા પાટીયાથી એક શખ્સ ચાલતો દહીગામડા તરફ નીકળ્યો છે અને તે તમંચો લઈને ફરે છે જે બાતમી આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરી દેશી બનાવટના તમંચા સાથે રાણીસરના શેરખાન સાલેહ મહમદ ભટ્ટી ને પકડી પાડ્યો હતો. તેની પાસેથી દેશી બનાવટ નો તમંચો જપ્ત કર્યો હતો. અને તેની સામે વારાહી પોલીસ મથકે આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 4:58 am

પ્રતિબંધ મૂકવામાં આવ્યો:પાટણ જિલ્લામાં રોલિંગ પેપર્સ, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના ઉપયોગ પર પ્રતિબંધ

પાટણ જિલ્લામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રોલિંગ પેપર્સ, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ નાં સંગ્રહ પરિવહન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હુકમનો ભંગ કરનાર શખ્સ શિક્ષાને પાત્ર થશે. સ્પેશિયલ ડ્રાઇવ કરી રોલિંગ પેપર્સ ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ નાં સંગ્રહ, વેચાણ કે તેનો ઉપયોગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.તેવુ એસ.ઓ.જી પીઆઈ જે.જી સોલંકી એ જણાવ્યું હતું. પાટણ જિલ્લામાં ચરસ ગાંજો હાઈબીડ ગાંજો સહિત વિવિધ પ્રકારના ડ્રગ્સના સેવન કરવા સરળ બને તે માટે યુવાનો અને સગીરો રોલિંગ પેપર્સ, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલનો ઉપયોગ કરી રહ્યા છે અને તેનું ચલણ વધ્યું છે. આ રોલિંગ પેપર્સ અને ગોગો સ્મોકિંગ કોનનો ઉપયોગ સામાન્ય રીતે તમાકુના સેવન માટે થાય છે. પરંતુ હાલના સમયમાં યુવાનો તેનો ઉપયોગ ચરસ ગાંજા અને હાઇબ્રીડ જેવા નશીલા પદાર્થોને છુપાવીને સેવન કરવા માટે કરી રહ્યા છે. આ સામગ્રીઓની બનાવટમાં ટાઇટેનિયમ ઓક્સાઈડ, પોટેશિયમ નાઇટ્રેટ, કુત્રિમ રંગો, કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત હાનિકારક છે. જેથી જિલ્લામાં રોલિંગ પેપર્સ ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ નો ઉપયોગ અટકાવવા માટે અને ખાનગી સ્થળોએ તેનો સંગ્રહ પરિવહન અને વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવા માટેની પોલીસ અધિક્ષકની દરખાસ્ત આધારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વી.સી બોડાણા એ જિલ્લામાં કોઈપણ જાહેર કે ખાનગી સ્થળો એ રોલિંગ પેપર્સ ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના સંગ્રહ પરિવહન કે વેચાણ ન કરવા માટે આદેશ કર્યો છે. આ હુકમનો ભંગ કરનાર શખ્સ 2003ની કલમ 2023 હેઠળ શિક્ષાને પાત્ર થશે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 4:57 am

દારૂની હેરાફેરી ઝડપાઈ:ટ્રેલરમાં માટી નીચે સંતાડેલો 31 લાખનો દારૂ જપ્ત

પાટણમાં પંજાબથી બાયપાસ આવતો 77 લાખનો દારૂ પકડાયા બાદ 48 કલાકમાં માટી નીચે દારૂનો જથ્થો સંતાડી મોરબી જઇ રહેલા ટ્રેલરને સાંતલપુર પોલીસે પીપરાળા ચેકપોસ્ટ પરથી પકડી 31.74 લાખનો દારૂનો જથ્થો પકડ્યો છે. તેમજ ટ્રેલરના ડ્રાઇવર સહિત બે શખ્સોની પોલીસે ધરપકડ કરી તપાસનો દોર શરૂ કર્યો હતો. રાજસ્થાન પાર્સિંગનું ટ્રેલર (આર જે-37-જીબી 0121) માં દારૂ ભરી ટ્રેલર રાધનપુર તરફથી કચ્છ બાજુ જઈ રહ્યું છે. પોલીસ પીપરાળા ચોક પોસ્ટ ખાતે વોચ ગોઠવી હતી. ડ્રાઇવર રાજસ્થાનના નાગોર જિલ્લાના નીમ્બીજોધા ગામના જીતેશ ઉર્ફે રાકેશ કાનારામ જાટ અને તેની સાથેના ભવાનીશંકર સત્યનારાયણ જોષી (પરીખ) ને પકડી લીધા હતા. સાંતલપુર પોલીસ મથકે રાજસ્થાનના ભવાનીશંકર સત્યનારાયણ જોશી જીતેશ કાના રામ જાટ અને દારૂ મોકલનાર રાજસ્થાનના ફતેપુરના અનિલ જગદીશ પ્રસાદ પાડીયા દારૂ ભરીઆપનાર ભવાનીશંકર લક્ષ્મણ જાટ સુખારામ લક્ષ્મણ જાટ દારૂ લેનાર ગોપાલ મેઘવાલ અને દારૂ મંગાવનાર મોરબીનો અજાણ્યા શખ્સ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. એક ટ્રિપના ડ્રાઇવરને રૂ. 40 હજાર મળેી જાય છેનાની ગાડીઓમાં ભરેલા દારઝડપથી પકડાતા હોય બુટલેગરો દ્વારા આવે ટ્રેલરની અંદર કોઈ વસ્તુની આડમાં દારૂની હેરાફેરી શરૂ કરવાનો નવો કીમિયો અપનાવ્યો છે. ડ્રાઇવરની પૂછપરછ માં ખુલાસો થયો છે. ડ્રાઇવરને એક ટ્રીપના રૂ. 40,000 આપવાના નક્કી થયા હતાં માટી ભરેલા ટ્રેલરમાં સંતાડેલો દારૂ શોધતાં પોલીસને લગભગ એક કલાક જેટલો સમય લાગ્યો હતો. તેવું સાંતલપુર પીઆઇ નકુમ પંચાલે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 4:56 am

બંને પરિવારના પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો:જૂની જમીન મામલે જગુદણના યુવકને લોખંડની પાઇપ મારી

જૂની જમીનના ઝઘડામાં મહેસાણાથી જગુદણ ગામે પોતાની માસીના ઘરે ગયેલા યુવકને સ્થાનિક શખ્સે માથામાં લોખંડની પાઇપ મારીને ઇજા પહોંચાડી હતી. . મહેસાણા રહેતા જાગૃત મિલાભાઇ બારોટ રવિવારે સાંજે પિતા અને કાકા ચિરાગભાઈ બારોટ સાથે જગુદણ ગામે ખોડીયાર માતાના મંદિરે ગયા હતા. ત્યાંથી તેઓ માસીના ઘરે ગયા હતા, ત્યાં છત્રસિંહ બારોટ આવ્યા હતા અને તેમના પિતા અને કાકાને ગાળો બોલી હતી. તે સમયે તેમના ભાઈ ભુપેન્દ્રભાઈ બારોટે લોખંડની પાઇપ માથાના ભાગે માર્યો હતો. ભૂપેન્દ્રભાઈ અને તેમના ભાઈ છત્રસિંહ સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામે પક્ષે જગુદણ ગામના ભુપેન્દ્રભાઈ રમણલાલ બારોટ તેમના ગામના ગોંદરે બેઠા હતા. તે સમયે મિલાપ બારોટ, તેમનો દીકરો જાગૃત અને તેનો ભાઈ ચિરાગ બારોટ ત્રણે જણા ઘર તરફ ગયા હતા. ભુપેન્દ્રભાઈ ત્યાં જતા મિલાપ બારોટે તેમને ગાળો બોલી હતી. તે સમયે મિલાપભાઈએ તેમને ધક્કો મારતા તેઓ પડી ગયા હતા. ત્યારે મિલાપભાઇ, ચિરાગભાઈ અને તેમનો દીકરાએ માર માર્યો હતો.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 4:49 am

ભાસ્કર ફોલોઅપ:અંધેરી હાઉસિંગમાં ગટરની સમસ્યા ટળી ત્યાં હવે બે માળીયામાં ઉભરાવા લાગી

મહેસાણાના સોમનાથ રોડ સ્થિત અંધેરી હાઉસિંગમાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનાવ્યા પછી સમ્પમાં ડ્રેનેજનું પાણી સ્ટોરેજ કરીને પછી પમ્પિંગ ચાલુ કરી રાઇઝિંગ લાઇનમાં નિકાલ કરવામાં આવતાં અહીં ગટર ઉભરાવાની સમસ્યા ટળી છે. આ અંધેરીથી આગળ આવેલ બે માળીયા હાઉસિંગમાં ગટર ઉભરાવાની સમસ્યા ઊભી થઇ છે. અંધેરી હાઉસિંગમાં સાંજે પમ્પિંગ મોટર ચાલુ કરતાં ભૂગર્ભ ગટરની રાઇઝિંગ લાઇનથી ફોર્સથી ગંદું પાણી પસાર થઈને બે માળીયા હાઉસિંગના રસ્તામાં ચેમ્બરથી ઊભરાઇને બહાર નીકળતાં આખા રસ્તામાં પાણી ભરાયું હતું. આ અંગે ડ્રેનેજ શાખાના ઇજનેરે કહ્યું કે, અંધેરી હાઉસિંગમાં સાંજે કોઇએ મોટર ચાલુ કરી હતી તે સમયે રાઇઝિંગ લાઇનમાં પાણી ભરેલા હોય એટલે ક્યાંકથી ઉભરાઇને અંધેરી પમ્પિંગથી એવા સમયે પમ્પિંગ મોટર ચાલુ કરવાની થાય કે જ્યારે ભૂગર્ભ ગટર રાઇઝિંગ લાઇનમાં ડ્રેનેજના પાણીની ફ્લો ખૂબ ઓછો હોય.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 4:48 am

ઉત્કૃષ્ટ પ્રદર્શન:સ્ટેટ માસ્ટર્સ એથ્લેટિક્સ સ્પર્ધામાં મહેસાણાના ખેલાડીને બે ગોલ્ડ મેડલ

કચ્છ-ભુજ (માધાપર) ખાતે આવેલ સર્વોદય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં યોજાયેલી 44મી ઓપન સ્ટેટ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહેસાણા સાર્વજનિક વિદ્યાસંકુલના રમેશભાઈ એફ. ચૌધરીએ ઉત્તમ પ્રદર્શન કરીને ફેંક વિભાગમાં બે ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ મેળવી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓના ખેલાડીઓ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં રમેશભાઈએ પ્રથમ સ્થાન મેળવી મહેસાણાનું નામ રોશન કર્યું હતું. રમેશભાઈની ઝળહળતી સિદ્ધિને પગલે તેમની રાષ્ટ્રીય (નેશનલ) કક્ષાની સ્પર્ધાઓ માટે પસંદગી થઈ છે અને તેવા હવે કેરળના તૃવેનુરમ ખાતે દેશનું પ્રતિનિધિત્વ કરશે. રાજ્ય, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યાર સુધી કુલ 25થી વધુ મેડલ્સ જીતવાના તેમના પ્રદર્શનથી સાર્વજનિક વિદ્યાસંકુલ તથા મહેસાણા જિલ્લાનો ગૌરવ વધ્યો છે. આ અવસરે સાર્વજનિક કેળવણી મંડળના માનદ્ મંત્રી દિલીપભાઈ ચૌધરી, સહમંત્રી મિલનભાઈ ચૌધરી, કેમ્પસ ડાયરેક્ટર શરદભાઈ વ્યાસ સહિત તમામ સ્ટાફ સભ્યોએ રમેશભાઈને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 4:45 am

ભાસ્કર એક્સક્લૂસિવ:તંત્ર હવે ફોર્મ નહીં ભરનાર 1.95 લાખ મતદારોની ઓળખ થશે

મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશનો 27 ઓક્ટોબરથી શરૂ થયેલ ગણતરીનો તબક્કો 11 ડિસેમ્બરના રોજ પૂરો થઈ રહ્યો છે. મહેસાણા જિલ્લામાં ઘરે-ઘરે જઈને ગણતરી ફોર્મના વિતરણથી લઈને તેના ડિજીટાઈઝેશનની કામગીરી 99.88 ટકા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ દરમિયાન કુલ 1.95 લાખ ગણતરી ફોર્મ પરત આવ્યાં નથી. મતદાર યાદીમાં નોંધાયેલા નાગરિકોના અવસાન, કાયમી સ્થળાંતર, ગેરહાજર અને ડુપ્લીકેટ સહિતના વિવિધ કારણોથી પાછા નહીં મળેલાં આ ફોર્મની ખરાઈ માટે તંત્રએ કવાયત શરૂ કરી છે. જિલ્લાના 1810 બુથના બીએલઓ ડિજિટલ અપલોડમાં દર્શાવેલા આવા મતદારોની હવે ખરાઈ તેમના જ વિસ્તારના બુથ લેવલ એજન્ટ મારફતે કરાવશે. ચૂંટણી તંત્રએ તમામ બીએલઓને તેમના વિસ્તારના આ મતદારોની હાર્ડ કોપી સોમવારે બુથ એજન્ટના નામ અને ફોન નંબર સાથે આપવાની શરૂ કરી છે. હવે આવા મતદારોને શોધી યાદી શુદ્ધિકરણ કરાશે. જિલ્લામાં મૃતક અને સ્થળાંતર સહિત કુલ 1,95,458 મતદારો (10.91 ટકા)ની યાદી હવે રાજકીય પક્ષોના બુથ લેવલ એજન્ટોથી ચકાસણી કરાવાઇ રહી છે. જેમાં 56226 મૃતક, 106450 સ્થળાંતરિત, 14669 ડુપ્લીકેટ, 16480 ન મળેલા અને 1633 અન્ય કેટેગરીના મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લાના સાત વિધાનસભા ક્ષેત્રોમાં કુલ 17,91,905 પૈકી 17,89,702 મતદારોના ફોર્મ ડિજિટલ અપલોડ કરી દેવાયા છે, જે કામગીરી 99.88 ટકાએ પહોંચી છે. માત્ર 2,203 ફોર્મ અપલોડમાં બાકી છે. આ દરમિયાન, મતદારના સરનામે મુલાકાતો પછી પણ નહીં મળતાં તંત્રની સૂચનાથી ગેરહાજર કે સ્થળાતરમાં ફોર્મ ડિજિટાઇઝ કર્યા પછી બીએલઓનો હવે સંપર્ક કરીને ફોર્મ આપવા આવી રહ્યા છે. આવા કિસ્સામાં તંત્રની એપમાં રોલ ખોલી બીએલઓ સંબધિત કેટેગરીમાં તે મતદારનું ફોર્મ અપલોડ કરી રહ્યા છે. ફોર્મ પાછા નથી આવ્યા તેમની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીની વેબસાઈટ પર પ્રકાશિત કરાશે જિલ્લામાં બૂથ લેવલ ઓફિસર અને માન્ય રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોના અંતે જે-તે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે જે મતદારોના ફોર્મ પાછા નથી આવ્યા તેમની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવશે. આગામી દિવસોમાં મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ પર પણ પ્રકાશિત કરાશે. તા.11મી સુધી ફોર્મ અપલોડ કરી શકાશે, 16 ડિસેમ્બરે ડ્રાફ્ટયાદી પછી વાંધા લેવાશે, નામનો ઉમેરો થઇ શકશેનાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.બી. પરમારે કહ્યું કે, જો બીએલઓ દ્વારા ગેરહાજર કે સ્થળાંતર બતાવ્યા પછી કોઈ મતદાર ફોર્મ લઈને આવે, તો બીએલઓને રોલ સુધારા માટે તા.11 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી ખોલી અપાશે. આ સમય સુધી મતદારની કેટેગરી બદલી સુધારો કરી શકશે. તા.11ની મધ્યરાત્રિ બાદ મોબાઈલ એપમાં રોલ લોક થઈ જશે અને પછી સુધારાને કોઈ અવકાશ રહેશે નહીં. તમામ મતદારોએ 16 ડિસેમ્બરે જાહેર થનાર ડ્રાફ્ટ રોલ અવશ્ય ચકાસવો જોઈએ. તેમાં જો કોઈ ત્રુટી રહી ગઈ હોય કે ફેરફાર કરવો હોય, તો સમય મર્યાદામાં વાંધો રજૂ કરી આવશ્યક પુરાવા જમા કરાવવા જરૂરી છે, જેના આધારે ચકાસણી કરી નામનો ઉમેરો કે ફેરફાર થઇ શકશે. ભાસ્કર ઇનસાઇડગણતરી ફોર્મ વિતરણ પછી ભરાઇને ન આવેલા હોય તેવા મતદારના સરનામે એક‎બીએલઓએ સંપર્ક કરતાં ઘરમાંથી ત્રણ ફોર્મ પરત આવી ગયાં પણ એક મહિલાનું ફોર્મ‎‎આવ્યું નહોતું. જવાબ મળ્યો તેમના છુટાછેડા થયેલા‎‎છે. બીજે રહે છે એટલે તેમનું ફોર્મ આપવાનું નથી.‎ આખરે ફોર્મ ઉપર છુટાછેડા લખીને ફોર્મ બીએલઓને અપાયું. જોકે, ફોર્મ નં.7 ભરાયું નથી‎અને તે મતદારની સહી ન હોઇ આવા ફોર્મ હાલ તો ગેરહાજરમાં દર્શાવ્યું છે. અન્ય એક‎બીએલઓએ કહ્યું કે, ઘરમાંથી બે દીકરા અને પતિ પત્નીના ફોર્મ ભરાઇને આવી ગયા પણ‎તેમની દીકરીનું ફોર્મ ન આવ્યું. પૂછ્યું તો તે અમદાવાદ સાસરીમાં રહે છે, તેને ફોર્મ મોકલ્યું‎છે. ત્યાં નામ ચાલતું હોય તો કમી કરાવવા ફોર્મ ભરી મોકલી આપવા કહ્યું તો દીકરીને‎પૂછીને કહીશું, ત્યાર પછી આ ફોર્મ જ પરત ન આવ્યું.‎

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 4:44 am

30 હજાર બાળકોમાં દાંતમાં સડો, કાનમાં રસી જેવા રોગ:આંગણવાડીમાં 368 અને શાળામાં 115 બાળકોને જન્મજાત ખોડખાંપણ

જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણી અંતર્ગત આરોગ્યની ટીમ દ્વારા આંગણવાડી અને સ્કૂલનાં બાળકોની કરવામાં આવતી તપાસણીમાં છેલ્લા 8 મહિનામાં આંગણવાડીના સ્ક્રિનિંગ કરાયેલા 15.28 લાખ બાળકો પૈકી 368 બાળકો જન્મજાત ખોડખાંપણવાળા મળી આવ્યાં છે. એ જ રીતે શાળામાં પણ 30.44 લાખ બાળકોના નિદાનમાં 115 બાળકો ખોડખાપણવાળાં શોધાયાં છે. તો 30 હજાર જેટલા બાળકોમાં દાંતમાં સડો, કાનમાં રસી આવવી જેવા રોગ જોવા મળ્યા હતા. 1 એપ્રિલથી 6 ડિસેમ્બર દરમિયાન સમગ્ર જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીના 15.28 લાખ બાળકોનું સ્કિનિંગ કરાયું હતું. જેમાંથી 7507 બાળકોમાં તેમજ શાળાનાં સ્કિનિંગ કરાયેલા 30.44 લાખ બાળકો પૈકી 4426 બાળકોમાં વિટામીન એથી લઇને ડીની ઉણપ જોવા મળી હતી. સાથે 7,776 આંગણવાડીના અને 2215 શાળાના બાળકોમાં દાંતમાં સડો, કાનમાં રસી આવવી, ચામડીના રોગો તેમજ ટીબી અને કિડની જેવા ગંભીર રોગોનું પણ અનુસંધાન પાન-2

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 4:40 am

ભાસ્કર ફોલોઅપ:બોગસ લગ્ન નોંધણી : પિતાની કણજીપાણી‎ગામના તલાટી, દીકરી, જમાઈ સામે ફરિયાદ‎

ઊંઝા પોલીસ સ્ટેશનમાં પંચમહાલની કણજીપાણી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, યુવક કૌશિકગીરી ગોસ્વામી અને યુવતી જયશ્રીબેન પટેલ સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ લગ્ન નોંધણીના કાગળોમાં ગેરરીતિ કરવા બદલ ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો છે. સિદ્ધપુર તાલુકાના ખોલવાડા ગામના ફરિયાદી અમૃતભાઈ બબાભાઈ પટેલે આ ફરિયાદ દાખલ કરાવી છે. તેમની દીકરી જયશ્રીબેન 14 નવેમ્બરના રોજ બ્યુટીપાર્લરના ઓર્ડરના બહાને ઘરેથી નીકળી ગઈ હતી. બાદમાં તેમને વિજાપુર પોલીસ સ્ટેશન દ્વારા જાણવા મળ્યું કે તેમની દીકરીએ ઉનાવાના ગોસ્વામી કૌશિકગીરી બળદેવગીરી સાથે લગ્ન કરી લીધા છે અને લગ્નનું પ્રમાણપત્ર પણ રજૂ કર્યું છે. આ પ્રમાણપત્ર કણજીપાણી ગ્રામ પંચાયત દ્વારા તલાટીની સહી સાથે 15 નવેમ્બર, 2025ના રોજ ઇશ્યૂ કરાયેલું હતું. ફરિયાદીએ જ્યારે કાગળોની તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે રૂ.50ના સ્ટેમ્પ પેપરોની ખરીદી ઊંઝા મામલતદાર કચેરી ખાતે 14 નવેમ્બર, 25ના રોજ બપોરે 14-32થી 14-35 વાગ્યાના ગાળામાં થઈ હતી. જોકે, લગ્ન નોંધણી ફોર્મ-01માં તે જ દિવસે સાંજના 4 વાગે કણજીપાણી ગ્રામ પંચાયત ખાતે અનુસંધાન પાન-2 પોલીસ તપાસમાં ગોર મહારાજ સહિતના આરોપીના નામ ખુલશે પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્નના કિસ્સામાં ખોટા લગ્નના સોગંદનામા કરીને લગ્ન સ્થળ અલગ-અલગ બતાવીને લગ્ન નોંધણી થકી પ્રેમલગ્ન કરનાર પોતાની જ દીકરી સામે પિતાએ ઊંઝામાં ફરિયાદ નોંધાવી છે. જે જાંબુઘોડા પોલીસને ટ્રાન્સફર કરાતાં હવે આગળની તપાસમાં ગોર મહારાજ પણ આરોપી તરીકે આવશે અને ઉત્તર ગુજરાતથી છેક પંચમહાલના તલાટી પાસે બોગસ લગ્ન નોંધણી કરાવનાર સક્રિય ગેંગનો પણ ખુલાસો થશેનું મનાય છે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 4:39 am

ભાસ્કર એક્સક્લુસિવ:ઉ.ગુ.માં ગત વર્ષની તુલનાએ આ વખતે ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી નબળી રહી

ઉત્તર ગુજરાતમાં સોમવારે પ્રતિ કલાકે સરેરાશ 4 કિલોમીટરની ઝડપે ઉત્તર-પૂર્વ દિશાનો પવન ફૂંકાયો હતો. તેમ છતાં દિવસ-રાતનું તાપમાન અડધા ડિગ્રી જેટલું ઉંચકાયું હતું. ઠંડીનો પારો 13.9 થી 15 ડિગ્રી વચ્ચે અને દિવસનું તાપમાન 33.5 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. મોડી સાંજથી લઈને વહેલી સવાર સુધી ધ્રુજાવી દે તેવી ઠંડી અને દિવસે હુંફાળા વાતાવરણનો અનુભવ થયો હતો. ઉત્તર ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ આ વખતે ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી નબળી રહી છે. ગત વર્ષે સરેરાશ ઠંડીનો પારો 14.4 ડિગ્રી રહ્યો હતો, જ્યારે આ વર્ષે સરેરાશ 15 ડિગ્રી તાપમાન રહ્યું છે. ડિસેમ્બરની શરૂઆતના 8 દિવસ પૈકી માત્ર 2 દિવસ તાપમાન 15 ડિગ્રીથી ઉપર રહ્યું હતું જ્યારે આ વર્ષે 4 દિવસ તાપમાન 15 ડિગ્રીથી ઉપર રહ્યું છે. ગત વર્ષના 8 ડિસેમ્બરે સૌથી ઓછું 12.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે આ વર્ષે સૌથી ઓછું 13.5 ડિગ્રી તાપમાન 7 નવેમ્બરે નોંધાયું હતું. હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ વર્ષે પવનની દિશા અનિયમિત રહેવા અને હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે માઉન્ટ આબુનું ઠંડીનો પારો 5 ડિગ્રી નોંધાયો હતો. 10 થી 12 ડિસેમ્બર કાતિલ ઠંડી પડી શકે છે હવામાન વિભાગના ટૂંકાગાળાના અનુમાન મુજબ, ઉત્તર પાકિસ્તાનમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચ્યું છે. જેના કારણે હિમાલય રેન્જમાં હિમવર્ષા થઈ શકે છે. હાલમાં મેદાની પ્રદેશોમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન ફૂંકાતો હોવાથી 10 અને 11 ડિસેમ્બરે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં શીતલહેરનું યલો એલર્ટ જાહેર કરાયું છે. આ શીતલહેરને કારણે 10 થી 12 ડિસેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતની ઠંડીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે, જેથી આ સમયગાળામાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 4:37 am

શોભાસણ રોડ પર ભૂગર્ભ ગટર લાઇનના ખાડામાં પડતાં એક્ટિવાચાલક વૃદ્ધનું મોત

મહેસાણા શહેરના કસ્બા શોભાસણ રોડ પર ચાલી રહેલ ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી દરમિયાન રોડ સાઇડ ભૂગર્ભ ગટર માટે ખોદેલા ખાડામાં પડતાં એક્ટિવાચાલક વૃદ્ધનું મોત થયું હતું. શહેરની શાલીમાર સોસાયટીમાં રહેતા 70 વર્ષીય દિવ્યાંગ અબ્દુલસતાર ગુલામ મોહમ્મદ ખત્રી ત્રણ પૈડાવાળું એક્ટિવા લઈને પસાર થતા હતા. ત્યારે રોડ સાઇડ ભૂગર્ભ ગટર માટે ખોદેલા ખાડાના ભાગમાં એ ક પૈડું આવી જતાં પલટી ખાઇ ગયું હતું. જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ સોમવારે તેમનું અવસાન થયું હતું. આ દુર્ઘટના અંગે વિસ્તારના અખ્તરભાઇ બાબીએ કહ્યું કે, સાંજે 7.30 વાગ્યાના અરસામાં અંધારુ હોય છે, આવા સમયમાં ગટર માટે ખોદેલા ખાડા આસપાસ તે વખતે કોઇ આડશ કરાયેલી નહોતી. મોડી સાંજે વાહન લઇને નીકળતાં આ વયસ્ક આ ખાડામાં પડી જતાં ગંભીર ઇજા થઇ હતી અને સારવાર દરમિયાન અવસાન થયું છે. રાત્રે કોઈ પસાર થાય તો ખાડામાં પડી જાય. આવા ખાડા સાઇડ રેડિયમ લગાવવું જોઇએ, જેથી અકસ્માત નિવારી શકાય.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 4:34 am

ભાસ્કર એક્સક્લૂસિવ:GST સર્ચમાં પિતાનું ખાતું બ્લોક કરાતા પુત્રી ફી ન ભરી શકી, પ્રવેશ અટકી પડ્યો

સુરતના રેડીમેડ કપડાંના શો રૂમના વેપારીને ત્યાં જીએસટીના સર્ચ દરમિયાન શંકાના આધારે તપાસ ચાલે ત્યાં સુધી બેંકના વ્યવહાર અટકાવી દેવાયા હતા. વેપારીની દીકરીએ વિદેશી યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. તેની ફીનો ચેક અટકી ગયો હતો. ફી ન ભરાતા દીકરીનો પ્રવેશ અટકી ગયો હતો. પહેલા જીએસટી અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. જોકે સર્ચ પૂરી થયા બાદ બેંક વ્યવહાર શરૂ કરવાની મંજૂરી અપાશે તેવો જવાબ મળ્યો હતો. આથી દીકરીએ હાઈકોર્ટમાં અરજી કરીને તેની ફીનો ચેક રિલીઝ કરવા દાદ માગી છે. હાઈકોર્ટે જીએસટી વિભાગ અને બેંકને નોટિસ પાઠવીને વધુ સુનાવણી સોમવારે રાખી છે. વેપારીની દીકરીએ યુકેમાં ફેશન ડિઝાઇનિંગના માસ્ટર ડિગ્રીના અભ્યાસ માટે ફી નો ચેક-ડિમાન્ડ ડ્રાફ્ટ ભર્યો હતો. અભ્યાસક્રમ માટે ફી ભર્યા બાદ તેનું એડમિશન નક્કી થાય તેવો નિયમ હોવાથી દીકરીનું એડમિશન પણ હોલ્ડ પર રહ્યું હતું. જોકે હોસ્ટેલની ફી ભરાઇ ગઇ હતી. હોસ્પિટલ ફી, એજ્યુકેશન ફી રોકી શકાય નહિ: અરજદારવેપારીની પુત્રીએ રજૂઆત કરી હતી કે, કાયદા મુજબ હોસ્પિટલ ફી, એજ્યુકેશન ફી જેવા અણધાર્યા અને અનિવાર્ય ખર્ચને જીએસટી અપવાદરૂપ કિસ્સામાં અટકાવી શકે નહિ. જેમના ઘરે જીએસટી સર્ચ ચાલતું હોય તેના પરિવારની કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં હોય કે બીમાર હોય તો તેની ફી માટે પૈસા ઉપાડી શકે છે. પરિવારમાં શિક્ષણના હેતુથી ફી ચૂકવવાની હોય તો તે રકમને પણ અટકાવી શકાય નહિ.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 4:00 am

આયોજન:હવે આઈઆઈએમ-એમાં પણ જેન ઝી પોસ્ટ ઓફિસ શરૂ થશે, વાઈફાઈ, કાફેટેરિયા, મિની લાઈબ્રેરીની સુવિધા હશે

આઈઆઈએમ અને આઈઆઈટીના વિદ્યાર્થીઓને પોસ્ટ ઓફિસમાં વાઈફાઈ, કાફેટેરિયા, અખબાર મેગેઝિન સહિત અન્ય પુસ્તકો સાથે મિની લાઈબ્રેરી જેવી આધુનિક સુવિધા મળી રહે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા ઝેન-ઝી પોસ્ટ ઓફિસ શરૂ કરાઈ રહી છે. પોસ્ટ વિભાગ દ્વારા ડિસેમ્બર અંત સુધીમાં અમદાવાદ સહિત દેશમાં આવી 46 દેશમાં આવી 46 જેટલી ઝેન-ઝી પોસ્ટ ઓફિસો શરૂ કરાશે. રાજ્યમાં પહેલી ઝેન-ઝી પોસ્ટ ઓફિસ આઈઆઈટી ગાંધીનગર ખાતે શરૂ કાઈ છે. જ્યારે આઈઆઈએમ-એ ખાતે પણ આ મહિનાના અંત સુધીમાં ઝેન-ઝી પોસ્ટ ઓફિસ શરૂ કરાશે. જ્યાં વાઈ-ફાઈ, કાફેટેરિયા અને મિની લાઈબ્રેરીની સુવિધા હશે. સ્પીડ પોસ્ટ મોકલનારા વિદ્યાર્થીને ડિસ્કાઉન્ટજેન-ઝી આઈઆઈટી પોસ્ટ ઓફિસમાં વાઈ-ફાઈ, કાફેટેરિયા, મિની લાઈબ્રેરી, પાર્સલ, જ્ઞાન પોસ્ટ, પાર્સલ પેકેજિંગ સેવા, ફિલેટેલી, પોસ્ટ ઓફિસ બચત સેવા, ડાક જીવન વીમા, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, વિદ્યાર્થીઓ માટે સ્પીડ પોસ્ટમાં છૂટ તેમજ કયુઆર આધારિત ડિજિટલ પેમેન્ટ જેવી આધુનિક સુવિધા મળશે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 4:00 am

ગ્રાઉન્ડ ‘ઝીરો’:26થી વધુ મેદાન બનાવવાના 4 વાર વાયદા, તૈયાર એકેય નથી, મ્યુનિ.એ 2023માં 245 મેદાન અને પછી સંખ્યા ઘટાડી 26 મેદાનની જાહેરાત કરી હતી

અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બન્યું છે અને તે માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાઈ રહ્યાં છે, પરંતુ છેલ્લાં બે વર્ષમાં ચાર વખત 19થી વધુ પ્લે ગ્રાઉન્ડ બનાવવાના વાયદા છતાં એકેય હજુ તૈયાર કરાયું નથી. જોકે મ્યુનિ.એ એવો દાવો કર્યો હતો કે, ચાંદલોડિયા, પાલડી, કુબેરનગરમાં કામ થઈ ગયું છે, પણ ‘દિવ્ય ભાસ્કર’એ આ ત્રણ જગ્યાનું રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે, પાલડીમાં જ્યાં જૂના ટેનિસ કોર્ટની આસપાસ અન્ય રમતોની સુવિધા ઊભી કરવાનો વાયદો કરાયો હતો, પરંતુ ત્યાં આવું કશું થયું નથી. ચાંદલોડિયામાં જે જગ્યાએ મેદાન બનાવવાનું હતું ત્યાં માત્ર ખુલ્લી જમીન છે. જ્યારે કુબેરનગરના માતૃછાયામાં જ્યાં ક્રિકેટ મેદાનની સાથે વિવિધ રમતો માટેની સુવિધા ઊભી કરવાનો વાયદો કર્યો હતો ત્યાં માત્ર ક્રિકેટ મેદાનના નામે થોડી જગ્યા છે. ગત એપ્રિલમાં 4 મહિનાની સમયમર્યાદા નક્કી કરી 26 મેદાન તૈયાર કરવા કહ્યું હતું, પરંતુ હજુ સુધી કોઈ કામ થયું નથી. ક્યારે ક્યારે વાયદા આપ્યા 2023થી અત્યાર સુધી... ડિસેમ્બર 2023 : શહેરમાં 245 મેદાન બનાવવાની મ્યુનિ.એ જાહેરાત કરી હતી. એ વખતે એવું કારણ આપ્યું હતું કે, મર્યાદિત મેદાનો હોવાથી ભીડ થાય છે. ફેબ્રુઆરી 2024 : મ્યુનિ.એ તેના બજેટમાં શહેરભરમાં મેદાનો બનાવવાની જાહેરાત કરી હતી અને બજેટ પણ ફાળવ્યું હતું. ડિસેમ્બર 2024 : બજેટમાં જાહેરાત છતાં એકપણ મેદાન તૈયાર થયું નહિ. ત્યાર પછી મ્યુનિ.એ પહેલા તબક્કામાં 19 મેદાન બનાવવાની યોજનાની જાહેરાત કરી હતી. એપ્રિલ 2025 : હવે મ્યુનિ.એ 19થી વધારી 26 મેદાન બનાવાની જાહેરાત કરી કહ્યું હતું કે, દરેક વિધાનસભાને એક મેદાન મળશે. તે માટે બજેટ 25 કરોડથી વધારીને 27 કરોડ કર્યું હતું અને 4 મહિનાની ડેડલાઇન નક્કી કરવામાં આવી હતી. ડિસેમ્બર 2025 : ચારને બદલે આઠ મહિના વીતી ગયા છતાં એક પણ મેદાનોનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. આ અંગે મ્યુનિ.ને પૂછવામાં આવતા જવાબ મળ્યો હતો કે, ત્રણ મેદાન બની ગયાં છે અને બાકીનાં 6 મહિનાની અંદર તૈયાર થઈ જશે. બધા પ્લે ગ્રાઉન્ડ બનાવવામાં હજુ 6 મહિના લાગશેશહેરમાં બધા પ્લે ગ્રાઉન્ડ બનાવવામાં હજુ અંદાજે છ મહિના જેટલો સમય લાગશે. અત્યાર સુધીમાં પાલડી, કુબેરનગર, ચાંદલોડિયાનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. > દેવાંગ દાણી, મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 4:00 am

સિટી એન્કર:છેલ્લાં 4 વર્ષમાં 670 લોકોએ જીવનું જોખમ હોવાનું કહી બંદૂકના લાઈસન્સ માટે અરજી કરી, 21 મહિલા સહિત 267 લોકોની મંજૂર

જીવનું જોખમ હોવાના નામે શહેરમાં છેલ્લાં 4 વર્ષમાં 670 લોકોએ બંદૂકનું લાઈસન્સ લેવા માટે અરજી કરી હતી. 267 લોકોને લાઈસન્સ અપાયું હતું. જેમાં 21 મહિલાનો પણ સમાવેશ થાય છે. જ્યારે 403 લોકોની અરજી મેરિટના આધારે નામંજૂર કરાઈ હતી. આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં 148 લોકોના લાઈસન્સ નિયત ધારાધોરણ પ્રમાણે ન જણાતા રદ કરાયા હતા. લાઈસન્સ રદ કરવાના મુખ્ય કારણોમાં જાણવા મળ્યું કે પહેલા જે લોકોને ભયના કારણે લાઈસન્સ અપાયા હતા હવે તેઓને બંદૂકના લાઈસન્સની જરૂરિયાત જણાતી ન હોવાના કારણે તેઓના લાઈસન્સ રિન્યૂ ન કરી રદ કરવામાં આવ્યા હતા. જે લોકોને બંદૂકના લાઈસન્સ ઈશ્યૂ કરવામા આવતા હોય છે તેઓના નિયમિત સમયાંતરે રિવ્યૂ કરીને લાઈસન્સની જરૂર છે કે નહીં તે અંગે ચકાસણી કરવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે લાઈસન્સ મેળવવા માટે 139 અરજીમાંથી 51 જ મંજૂર કરાઈ લાઈસન્સ પહેલા તમામ પ્રકારની તપાસ થાય છેસ્વરક્ષણ, પાક અથવા ઢોર રક્ષણ માટે હથિયારની પરવાનગી મળે છે. જિલ્લા મેજિસ્ટ્રેટમાં અરજી કર્યા બાદ પોલીસ તપાસ થાય છે કે અરજદાર ગુનાઈત ઇતિહાસ ધરાવે છે કે નહીં, પોલીસ અભિપ્રાય બાદ જિલ્લા પોલીસ અધિક્ષક ફાઇલ કલેક્ટરને મોકલે છે. તેઓ અંતિમ નિર્ણય કરે છે. બુલેટ ખરીદ્યા પછી કલેક્ટર કચેરીમાં નોંધણી કરાવવી પડે છેબંદૂકધારકે દ્વારા બુલેટ ખરીદ્યા પછી તેની કલેક્ટર કચેરી ખાતે નોંધણી કરાવવાની હોય છે. કલેક્ટર કચેરીના અધિકારીના જણાવ્યા પ્રમાણે બંદૂકનું લાઈસન્સ મેળવનારા લોકો બુલેટની નોંધણી માટે આવતા નથી. જેથી ખરીદીની નોંધણીનો રેકોર્ડ રાખવામાં આવતો નથી.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 4:00 am