SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
... ...View News by News Source

કો ફાઉન્ડેશનનું ક્લિન અપ જુનાગઢ મિશન:ભવનાથમાં પ્લાસ્ટિક પ્રતિબંધ છતાં બેદરકારી,તંત્રનું કામ સેવાભાવી સંસ્થાએ કર્યું:450 જેટલી કચરાની બેગો એકત્રિત

પવિત્ર યાત્રાધામ અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવા ભવનાથ વિસ્તારમાં પર્યાવરણની શુદ્ધતા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે પ્લાસ્ટિક પ્રતિબંધની કામગીરીમાં જાણે કે વન વિભાગનું તંત્ર અને જૂનાગઢ મહાનગરપાલિકા નું તંત્ર નિષ્ફળ નિવડ્યું હોય તેવું સાબિત થયું છે. કારણકે જે પ્લાસ્ટિક પ્રતિબંધની કામગીરી વહીવટી તંત્ર અને વન વિભાગને કરવાની હોય છે તે હવે સેવાકીય સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે. કારણ કે સ્થાનિક લોકોમાં અપૂરતી જાગૃતિ અને બેદરકારીને કારણે આ વિસ્તાર હજી પણ પ્લાસ્ટિકના કચરાથી મુક્ત કરી શકાતું નથી.ત્યારે શહેરની જાગૃત સંસ્થા કો ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી દર રવિવારે 'ક્લીન અપ જુનાગઢ' કાર્યક્રમ હેઠળ સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં, કો ફાઉન્ડેશન દ્વારા ભવનાથ વિસ્તારમાં સફાઈ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી, જેમાં સંસ્થાના સભ્યોએ મોટા પ્રમાણમાં કચરો એકત્રિત કર્યો હતો. આ સફાઈ અભિયાન દરમિયાન 450 જેટલી પ્લાસ્ટિકના ભરેલા કચરાની બેગો એકત્રિત કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે પ્લાસ્ટિક પ્રતિબંધ હોવા છતાં તેનો ઉપયોગ કેટલો વ્યાપક છે.કો ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને વાતાવરણની શુદ્ધતા જાળવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. એક વર્ષથી સતત ક્લીિન અપ જૂુનાગઢ સફાઈ અભિયાન કો ફાઉન્ડેશનના ભગીરથસિંહ જાડેજાએ આ કામગીરી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, અમે છેલ્લા એક વર્ષથી દર રવિવારે સવારે ૯:૦૦ વાગ્યે નિયમિતપણે સફાઈ અભિયાનનું આયોજન કરીએ છીએ.છેલ્લા ત્રણ અઠવાડિયાથી તેમના ફાઉન્ડેશન દ્વારા લાલ ઢોરી અને ન્યૂ ભવનાથ સોસાયટી આસપાસ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને આ તેમની ત્રીજી ડ્રાઇવ હતી, જેમાં ૪૫૦થી વધુ બેગ કચરો એકત્રિત કરવામાં આવ્યો. કો ફાઉન્ડેશન દ્વારા સ્થાનિકોમાં જાગૃતિની અનોખી પહેલ ભગીરથસિંહના જણાવ્યા મુજબ ન્યૂ ભવનાથ સોસાયટીની મોટી સમસ્યા એ હતી કે કચરો લેવા માટે નિયમિત ગાડી આવતી હોવા છતાં, અહીંના રહેવાસીઓ પોતાનો કચરો નજીકના જંગલ વિસ્તારમાં ફેંકી દેતા હતા.આ બેદરકારીને દૂર કરવા માટે ફાઉન્ડેશને ગયા રવિવારે એક અનોખો પ્રયોગ કર્યો હતો જેમાં ગયા રવિવારે અમે જે કચરાની બેગો એકત્રિત કરી હતી, તે અહીં રહેતા લોકોના ઘરની સામે મૂકીને અમે ત્યાંથી ચાલ્યા ગયા હતા. આના પરિણામે સ્થાનિકોમાં અપેક્ષિત જાગૃતિ આવી. છેલ્લા એક અઠવાડિયાથી અહીં રહેતા સ્થાનિકો કચરો જંગલમાં ફેંકતા નથી, અને કચરો લેવા આવતી ગાડીનો સંપૂર્ણ ઉપયોગ કરીને તેમાં જ એકઠો થયેલો કચરો આપે છે. આ પહેલથી સ્પષ્ટ થાય છે કે માત્ર સફાઈ નહીં, પણ લોકજાગૃતિ લાવવાનું કાર્ય પણ કેટલું સફળ રહ્યું છે. કો ફાઉન્ડેશન દ્વારા દર રવિવારે સરેરાશ 150 થી વધુ કચરાના ભરેલા બેગો એકત્રિત કરવામાં આવે છે. સંસ્થાએ લોકોને ખાસ અપીલ કરી છે કે વાતાવરણને શુદ્ધ રાખવા અને કુદરતી સૌંદર્ય જાળવવા માટે પ્લાસ્ટિક પ્રતિબંધના નિયમનું કડક પાલન કરવું જોઈએ.પર્યાવરણની સુરક્ષા માટે કો ફાઉન્ડેશનનું આ નિષ્ઠાવાન કાર્ય સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 2:26 pm

LCBએ 28 વર્ષથી ફરાર આરોપી સહિત બે ઝડપ્યા:ધાડ અને પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીઓ પકડાયા

પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ બે અલગ-અલગ ગુનાઓમાં લાંબા સમયથી ફરાર બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ પૈકી એક આરોપી ધાડના ગુનામાં છેલ્લા 28 વર્ષથી નાસતો ફરતો હતો, જ્યારે બીજો પ્રોહિબિશનના ગુનામાં બે વર્ષથી વોન્ટેડ હતો. ઝડપાયેલા આરોપીઓમાં રસુલ ઉર્ફે રસુ કલજીભાઈ મહિડા (રહે. નાના ચોરા, તા. સજ્જનગઢ, જિ. બાસવાડા, રાજસ્થાન) નો સમાવેશ થાય છે. તે ગોધરા તાલુકા અને પાવાગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ધાડના બે ગુનાઓમાં છેલ્લા 28 વર્ષથી વોન્ટેડ હતો. તેના વિરુદ્ધ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.નં. 272/1997 (IPC કલમ 395, 397) અને પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.નં. 60/2012 (IPC કલમ 395, 337, GP એક્ટ કલમ 135) હેઠળ ગુના નોંધાયેલા છે. પોલીસને બાતમી મળી હતી કે આરોપી રસુલ મહિડા હાલ તેના રાજસ્થાન સ્થિત ઘરે હાજર છે. આ ચોક્કસ બાતમીના આધારે LCB સ્ટાફના કર્મચારીઓએ આરોપીના ઘરે જઈ તેને ઝડપી પાડ્યો હતો. કાયદેસરની કાર્યવાહી બાદ તેને ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. અન્ય એક કાર્યવાહીમાં, હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી નવીનભાઈ પર્વતભાઇ બારીયા (રહે. નવમગામ બાંધેલી, તા. હાલોલ, જિ. પંચમહાલ) ને પણ LCB એ ઝડપી પાડ્યો છે. તે હાલોલ રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. 11207079230 270/2023 (પ્રોહિબિશન એક્ટ કલમ 65AA, 116B, 98(2)) ના ગુનામાં વોન્ટેડ હતો. ઉપરોક્ત અધિકારીઓના માર્ગદર્શન હેઠળ, LCB ગોધરાના આ.પો.કો. કેતનકુમાર દેવરાજભાઈને બાતમી મળી હતી કે આરોપી નવીનભાઈ બારીયા હાલ ટીંમ્બી ચોકડી પાસે ઉભેલ છે. આ બાતમીના આધારે આ.પો.કો. કેતનકુમાર દેવરાજભાઈ, અ.હે.કો. સોમાભાઇ અર્જુનભાઈ તથા અન્ય LCB સ્ટાફના માણસોએ ટીંમ્બી ચોકડી ખાતે ખાનગી વોચ ગોઠવી આરોપીને પકડી પાડ્યો હતો. કાયદેસરની કાર્યવાહી બાદ તેને હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 2:21 pm

મોડાસામાં પ્રજ્ઞાચક્ષુ ખેલ મહાકુંભ યોજાયો:મોટી સંખ્યામાં ખેલાડીઓ જોડાયા, ચેસ-એથ્લેટિક્સ સ્પર્ધાઓ યોજાઈ

મોડાસા ખાતે અરવલ્લી જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે એક વિશેષ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અંધજન મંડળ, સાબરકાંઠા અને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)ના સંયુક્ત ઉપક્રમે રવિવાર, 7 ડિસેમ્બર 2025ના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો. આ ખેલ મહાકુંભ મોડાસાના મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના કોલેજ ગ્રાઉન્ડમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. સંસ્થાના વરિષ્ઠ અધ્યક્ષ ભાસ્કર મહેતા, ઉપ-પ્રમુખ પ્રવીણાબેન મહેતા અને પ્રમુખ ગોપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રિયા પરમાર દ્વારા પ્રાર્થના રજૂ કરીને કરવામાં આવી હતી, ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. સંસ્થાના જનરલ સેક્રેટરી સંદીપ કે. રામીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્ર શાહ, SSA કોઓર્ડીનેટર અમિત કવિ અને જીવદયા ગ્રુપના પ્રેમી નિલેશ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમનું ગિફ્ટ મોમેન્ટ અને શાલથી સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ઉપ-પ્રમુખ ડો. પૂર્વેશ પંડ્યાએ સંસ્થાનો સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો. આ ખેલ મહાકુંભમાં મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાઓમાં ચેસ અને એથ્લેટિક્સની પાંચ રમતોનો સમાવેશ થતો હતો. આ સ્પર્ધાઓ 18 વર્ષથી ઉપરના અને 18 વર્ષથી નીચેના ભાઈઓ-બહેનોની કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક માટે યોજવામાં આવી હતી. IDSS અને SSAના વિશિષ્ટ શિક્ષકોના સાથ સહકારથી આ ખેલ મહાકુંભ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. અંતમાં, સંસ્થાના કારોબારી સભ્ય અમિતાબેન ખાંટ અને મહેન્દ્ર પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 2:18 pm

પોરબંદર સિવિલમાં 90 દિવસમાં 9058 દર્દી દાખલ:97 હજારથી વધુ દર્દીઓને OPDમાં સારવાર અપાઈ

પોરબંદરની ભાવસિંહજી સિવિલ હોસ્પિટલે છેલ્લા 90 દિવસમાં 97,839 થી વધુ દર્દીઓને ઓપીડીમાં સારવાર આપી છે. આ સમયગાળા દરમિયાન, 9,058 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરીને તબીબી સેવા પૂરી પાડવામાં આવી હતી. હોસ્પિટલમાં દાખલ થયેલા કુલ 9,058 દર્દીઓની માસવાર વિગતો ઉપલબ્ધ છે. સપ્ટેમ્બરમાં 3,165 દર્દીઓ, ઓક્ટોબરમાં 3,019 દર્દીઓ અને નવેમ્બરમાં 2,874 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ મહિનામાં ઇમરજન્સી વિભાગે પણ નોંધપાત્ર સેવા આપી છે, જ્યાં કુલ 1,588 દર્દીઓને સારવાર મળી હતી. સપ્ટેમ્બરમાં 537, ઓક્ટોબરમાં 536 અને નવેમ્બરમાં 517 દર્દીઓએ ઇમરજન્સી સેવાઓનો લાભ લીધો હતો. ઓપીડીમાં સારવાર લેનારા કુલ 97,839 દર્દીઓમાં, સપ્ટેમ્બરમાં 35,175, ઓક્ટોબરમાં 31,237 અને નવેમ્બરમાં 31,427 દર્દીઓએ દવાઓ, ચેકઅપ અને વિવિધ સારવાર મેળવી હતી. આ માહિતી પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલના ડો. ગૌરવ ભંભાણી (એમ.ડી., પી.જી.ડી.એચ.એચ.એમ., સી.આઈ.એચ.) દ્વારા આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 2:15 pm

બોટાદનો ભાંભણ-હામાપર રોડ ત્રણ વર્ષથી અધૂરો:કોઝવે તૂટતા અવરજવર બંધ, બોક્સ નાળાની માંગ ઉઠી

બોટાદ તાલુકાના ભાંભણથી હામાપર જતો રૂ. 3.5 કરોડના ખર્ચે બનતો 8 કિલોમીટરનો પંચાયત રોડ છેલ્લા ત્રણ વર્ષથી અધૂરો છે. આ રોડ પરનો કોઝવે તૂટી જતાં લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે, જેના કારણે બોક્સ નાળા અને પુલ બનાવવાની માંગ ઉઠી છે. પાડલીયા નદી પર બની રહેલા 100 મીટરના કોઝવે અને નાળાની નબળી ગુણવત્તાને કારણે વરસાદી વહેણમાં માટી તણાઈ ગઈ હતી. આથી રોડ પરથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે. પાંચ પાઇપવાળા નાળામાં ઝાખરા ફસાઈ જવાથી પાણી ખેતરોમાં ઘૂસી જાય છે, જેના પરિણામે ખેડૂતોને પાકમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. પ્રોટેક્શન વોલ પણ હલકી ગુણવત્તાની હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકો અને ખેડૂતો દ્વારા આ સમસ્યાના કાયમી ઉકેલ માટે બોક્સ નાળું અને પુલ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, અધૂરું કામ છોડી દેનાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની પણ અપીલ કરાઈ છે. સ્થાનિક અજીતભાઈએ આ અંગે માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 2:12 pm

સુભાષબ્રિજ 15 ડિસેમ્બર સુધી બંધ રહેશે:4 એજન્સીઓ ટેસ્ટિંગ કરશે, તમામ ટેસ્ટ થયા બાદ બ્રિજ અંગે રાજ્ય સરકાર નિર્ણય લેશે

અમદાવાદના સૌથી વ્યસ્ત અને ઉત્તર ગુજરાતથી શહેરમાં પ્રવેશ કરવા માટેના મુખ્ય રોડ તરીકે ગણાતા એવા સુભાષબ્રિજ પર તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બ્રિજ નિર્માણ અને કન્સલ્ટન્ટ એજન્સીઓએ સુભાષબ્રિજના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી છે. અલગ અલગ ત્રણ એજન્સીઓ અને કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. આગામી 15 ડિસેમ્બર સુધી બ્રિજના ટેસ્ટની કામગીરી ચાલવાની હોવાના કારણે હજી એક અઠવાડિયા સુધી બ્રિજ બંધ રહેશે. વડોદરાની જીઓ ડાયનેમિક્સ કંપની બે દિવસ બાદ રિપોર્ટ આપશેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સુભાષબ્રિજ પર પડેલી તિરાડ અને ભાગ બેસી જવા મામલે બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા અલગ અલગ ત્રણ એજન્સીઓ પાસે આખા સુભાષબ્રિજના ટેસ્ટિંગની કામગીરી કરાવવામાં આવી રહી છે. આજે 8 ડિસેમ્બરના રોજ વડોદરાની જીઓ ડાયનેમિક્સ નામની કંપની દ્વારા સુભાષ બ્રિજની તપાસ કરવામાં આવી રહી છે. બ્રીજના તમામ પિલ્લર અને તમામ સ્પાનના ઇન્ટીગ્રિટી ટેસ્ટ કરવામાં આવશે. તમામ પાસાઓ ઉપર તપાસ કરીને બે દિવસ બાદ બ્રિજનો રિપોર્ટ આપવામાં આવશે. સોમવારે સાંજ સુધીમાં તમામ ટેસ્ટ પૂર્ણ થઈ ગયા બાદ બ્રિજ અંગેનો નિર્ણય લેવાશેઆજે SVNIT સુરતની ટીમ બ્રિજ ઇન્સ્પેક્શન માટે અમદાવાદ આવવાની હતી. જોકે હવે ટીમ આવતીકાલે 9 ડિસેમ્બરના રોજ મંગળવારે સુભાષ બ્રિજના ઇન્સ્પેક્શન અને ટેસ્ટ માટે આવશે. બે દિવસ બાદ IIT મુંબઈ અને IIT રૂડકીની ટીમ પણ બ્રિજના ઇન્ફેક્શન અને ટેસ્ટ માટે આવશે જેથી આખા અઠવાડિયા દરમિયાન સુભાષબ્રિજના ટેસ્ટ અને ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવશે. સોમવારે સાંજ સુધીમાં તમામ ટેસ્ટ પૂર્ણ થઈ ગયા બાદ બ્રિજ અંગેનો નિર્ણય લેવામાં આવી શકે છે. એક અઠવાડિયા સુધી બ્રિજના ઇન્સ્પેક્શન-ટેસ્ટની કામગીરી અલગ અલગ એજન્સીઓ કરશેમ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ એક અઠવાડિયા સુધી બ્રિજના ઇન્સ્પેક્શન અને ટેસ્ટની કામગીરી અલગ અલગ એજન્સીઓ દ્વારા કરવામાં આવશે. જે તમામ એજન્સીઓના સૂચનો અને રિપોર્ટના આધારે રાજ્ય સરકાર નિર્ણય લેશે. અલગ અલગ પોલીસ સ્ટેશનના 250 પોલીસકર્મીની ટ્રાફિકમાં બદલીસુભાષબ્રિજ બંધ થતા વાડજ સર્કલ ખાતે ટ્રાફિકની સમસ્યા વધી છે. વાડજ બ્રિજની બંને તરફ સવાર-સાંજના સમયે ટ્રાફિક ખૂબ જ વધી રહ્યો છે જેને લઈને પોલીસ કમિશનર વાડજ ટ્રાફિક નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધતા અલગ અલગ પોલીસ સ્ટેશનના 250 પોલીસકર્મીની ટ્રાફિકમાં બદલી કરવાનો જી. એસ. મલિકે નિર્ણય કર્યો છે. રસ્તો સાંકડો હોવાથી ટ્રાફિક થતા વાહનોની લાંબી લાઇન સુભાબ્રિજ બંધ હોવાથી વાહન ચાલકો હવે દૂધેશ્વર થઈ વાડજ તરફ જઈ રહ્યા છે. વાડજ સર્કલ ખાતે બ્રિજનું કામ ચાલુ હોવાથી રસ્તો સાંકડો હોવાથી ટ્રાફિક થતા વાહનોની લાંબી લાઇન લાગે છે જેના કારણે લાંબા સમય સુધી લોકોએ ટ્રાફિકમાં ઊભા રહેવું પડે છે.છેલ્લા 4 દિવસમાં અનેક વાહન ચાલકોની ટ્રાફિકની ફરિયાદ હતી. વાડજ બ્રિજથી વાડજ સર્કલ સુધી પોલીસ કમિશનરનું નિરીક્ષણ આજે શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિક વાડજ ટ્રાફિકની સમસ્યાને લઈને સ્થળ પર પહોચ્યા હતા. પોલીસ કમિશનર દ્વારા વાડજ બ્રિજથી વાડજ સર્કલ સુધી ચાલીને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રસ્તો સાંકડો હોવાનું પોલીસ કમિશનરના ધ્યાન પર આવતા AMCના અધિકારીને બિનજરૂરી વસ્તુઓ દૂર કરી રસ્તો પહોળો કરવા સૂચના આપી હતી. '250 પોલીસકર્મીની પોલીસ સ્ટેશનથી ટ્રાફિકમાં ઓર્ડર કરાશે' પોલીસ કમિશનર જી.એસ મલિકે જણાવ્યું હતું કે, વાડજ ખાતે ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી હતી. હજુ AMC દ્વારા સુભાષબ્રિજ અંગે કોઈ ટાઇમ લાઇન આપવામાં આવી નથી. જેથી લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તથા ટ્રાફિક ઓછો થાય તે માટે AMCના અધિકારીઓને વાડજમાં બનતા બ્રિજના કારણે રસ્તો સાંકડો થયો છે તેમ બિનજરૂરી વસ્તુઓ હટાવી રસ્તો પહોળો કરવા સૂચન આપ્યા છે. આ ઉપરાંત શહેરના અલગ અલગ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 250 પોલીસકર્મીની ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવશે. આ પણ વાંચો: અમદાવાદ કોર્પોરેશનને બ્રિજ નીચે તિરાડો દેખાઈ

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 2:09 pm

માણેકવાડાના 800 વીઘા ગૌચર પરના દબાણ દૂર.:કલેકટરની મુલાકાત બાદ માણેકવાડામાં તંત્રની તવાઈ: 83 ખાતેદારોએ જમીન નજીક કરેલા 800 વીઘા ગૌચર પરના દબાણો હટાવ્યા.

સરકારી જમીનો અને ખાસ કરીને ગૌચરની જમીનો પર થતા દબાણો દૂર કરવાની ઝુંબેશ અંતર્ગત જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રએ માણેકવાડા ગામે મોટી કાર્યવાહી હાથ ધરી છે.ગામના ગૌચરની જમીન પર છેલ્લા ઘણા સમયથી થયેલા દબાણોને દૂર કરીને આશરે 800 વીઘા જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ કાર્યવાહી જૂનાગઢ જિલ્લા કલેક્ટરની તાજેતરની ગામ મુલાકાત અને સ્થાનિક અરજીને પગલે તાત્કાલિક ધોરણે કરવામાં આવી છે. લાંબા સમયની અરજી પર ત્વરિત કાર્યવાહી​માણેકવાડા ગામના તલાટી કમ મંત્રી અશોકભાઈ પરમારે જણાવ્યું હતું કે અગાઉ જુલાઈ મહિનામાં ગામના અરજદાર વિરમભાઈ ગાંગાભાઈ જાડેજાએ ગૌચરની જમીન પર થયેલા દબાણ અંગે અરજી કરી હતી.આ અરજીને ધ્યાનમાં રાખીને અને વહીવટી તંત્રની સૂચના મુજબ માણેકવાડા ગ્રામ પંચાયતને સાથે રાખીને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ​800 વીઘા જમીન પર 83 ખાતેદારોનું દબાણ​પ્રથમ તબક્કે ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ગૌચરના હદ-નિશાનો નક્કી કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. હદ-નિશાનોની તપાસ કરતા એવું સામે આવ્યું કે, ગૌચર જમીનની નજીકમાં જ આસપાસના ૮૩ ખેડૂત ખાતેદારો દ્વારા જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું.​તમામ ૮૩ ખાતેદારોને દબાણ દૂર કરવા માટે અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી.. ​જોકે, ચોમાસા દરમિયાન જે જગ્યા પર દબાણ થયું હતું, ત્યાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે કામગીરી થઈ શકે તેમ ન હતી. ​જિલ્લા કલેક્ટર અને DDOની સૂચનાથી કાર્યવાહી​બે દિવસ પહેલાં જ જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા માણેકવાડા ગામની મુલાકાત લેવામાં આવી હતી અને તેમને પણ સ્થાનિકો દ્વારા આ ગૌચરના પ્રશ્ન અંગે રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટરની મુલાકાત બાદ, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી સહિત સમગ્ર વહીવટી તંત્રની સૂચનાથી આ દબાણ હટાવવાની કાર્યવાહીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. ​આ કાર્યવાહીમાં ચારથી વધુ જેસીબી મશીનો, ટ્રેક્ટરો અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગની મદદ લેવામાં આવી હતી. આ દબાણ હટાવવાની ઝુંબેશમાં અંદાજે ૮૦૦ વીઘા જેટલું ગૌચર જમીન પરનું દબાણ દૂર કરીને જમીનને ખુલ્લી કરવામાં આવી છે.​ખર્ચની વસૂલાત ખાતેદારો પાસેથી કરાશે ​તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, નિયમો અને જોગવાઈઓ અનુસાર, દબાણ દૂર કરવા માટે ઉપયોગમાં લેવાયેલા જેસીબી અને અન્ય વાહનોનો ખર્ચ જે તે દબાણકર્તા ખાતેદાર પાસેથી વસૂલ કરવામાં આવશે. જો ખાતેદારો દ્વારા આ રકમ આપવામાં નહીં આવે, તો રેવન્યુ રાહે કાયદેસરની કાર્યવાહી કરીને આ રકમની વસૂલી કરવામાં આવશે. ​માણેકવાડા ગ્રામ પંચાયત, ગામ લોકો, પશુ પ્રેમીઓ અને સંબંધિત તમામનો આ કાર્યવાહીમાં પૂરો સાથ સહકાર મળ્યો હોવાનું તંત્રએ જણાવ્યું હતું. વહીવટી તંત્રની આ તાત્કાલિક અને સખત કાર્યવાહીને કારણે હવે ગામના પશુઓ માટે 800 વીઘા જેટલું વિશાળ ગૌચર ખુલ્લું થયું છે. ​

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 1:55 pm

મિત્રએ કરોડોની જમીન મિત્રના નામે કરી:10 વર્ષ બાદ કોર્ટમાં પ્રોબેટ મેળવવા દાખલ થયેલી અરજી મંજૂર, વારસદારોએ વાંધો ન ઉઠાવ્યો

2014માં નવિન પટેલે અમદાવાદની બહાર આવેલા અંદાજે 4 હેક્ટર જેટલી કિંમતી નોન-એગ્રીકલ્ચરલ જમીન પોતાના મિત્ર ગિરિશ પટેલને વસિયતમાં આપી દીધી હતી. પરંતુ ગિરિશના વિદેશ પ્રવાસને કારણે એક દાયકાથી વધુ સમય સુધી તે વસિયત કોર્ટ સુધી પહોંચી નહોતી. આ વર્ષે કાનૂની વારસદારોને કોઈ વાંધો ન હોવાથી અને સાક્ષીઓએ દસ્તાવેજની પુષ્ટિ કર્યા બાદ સિવિલ કોર્ટે ગિરિશના પક્ષમાં પ્રોબેટ મંજૂર કર્યું છે. જમીનના મૂળ માલિકે અરજદારને વારસદાર બનાવ્યાંકેસની વિગતો મુજબ, મેમનગરના નિવાસી નવિન પટેલનું 27 જૂન, 2014ના રોજ અવસાન થયું હતું. તેનાં એક મહિના પહેલાં 22 મે, 2014ના રોજ તેમણે પોતાની છેલ્લી વસિયત તૈયાર કરી હતી. જેમાં તેઓએ ચલ અને અચલ સંપત્તિ પોતાના કાયદેસર વારસદારો તેમજ રાણીપના નિવાસી ગિરિશને આપી હતી. વસિયતમાં બે સાક્ષીની સહી લેવાઈ હતીવસિયતમાં ખાસ કરીને દસ્ક્રોઈ તાલુકાના પાલડી-કાંકરજ ગામમાં આવેલી 4-03-69 હે-આર–ચો.મી.જેટલી કરોડો રૂપિયાની જમીન ગિરિશના નામે કરવાનો ઉલ્લેખ કરાયો હતો. આ વસિયત મુકુન્દ પાનારા અને કલ્પેશ દેસાઈ નામના બે સાક્ષીની હાજરીમાં લખાઈ હતી અને ત્યારબાદ નારોલના સબ-રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરાઇ હતી. લગભગ દસ વર્ષ બાદ વર્ષ 2024માં ગિરિશે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વસિયતનો પ્રોબેટ અને લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન મેળવવા અરજી કરી હતી. કોર્ટે અરજદારને મોડી અરજી કરવા બદલ સવાર કર્યોઆટલા લાંબા વિલંબે અરજી કરવા વિશે પૂછતાં તેણે કોર્ટને જણાવ્યું કે, વિદેશ પ્રવાસના કારણે તે પહેલેથી કાનૂની કાર્યવાહી શરૂ કરી શક્યો નહોતો. તેણે સ્પષ્ટ કર્યું કે, નવિન સ્વસ્થ માનસિકતામાં અને પુરી રીતે સક્ષમ હાલતમાં વસિયત લખી રહ્યા હતા અને તે બળજબરી કે છેતરપિંડી વગર બનાવવામાં આવી હતી. વારસદારોએ નોટિસ પર વાંધો ન ઉઠાવ્યોકોર્ટના આદેશ બાદ નવેમ્બર, 2024માં વસિયતના પ્રોબેટ માટે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી અને તેમાં ઉલ્લેખિત કાનૂની વારસદારોને વિશેષ નોટિસ મોકલવામાં આવી. કોઈએ પણ આ વસિયત પર વાંધો ઉઠાવ્યો નહોતો. સાક્ષી પૈકીના એક મુકુન્દ પાનારાએ પણ સોગંદનામું આપીને દસ્તાવેજ ખરા હોવાના પુરાવા આપ્યા હતા. દસ્તાવેજોની તપાસ કર્યા બાદ અમદાવાદ ગ્રામ્ય સિવિલ કોર્ટના મત મુજબ 22 મે, 2014ની વસિયતમાં ઉલ્લેખિત લાભાર્થીઓ વચ્ચે સંપત્તિ વહેંચવા માટે અરજદાર તથા અન્ય કાનૂની વારસદારોને એક્ઝીક્યુટર્સ તરીકે નિમવામાં આવ્યા હોવાથી તેઓને પ્રોબેટ સર્ટિફિકેટ મેળવવાનો અધિકાર છે. કોર્ટે પ્રમાણપત્ર ઈશ્યૂ કરવાનો આદેશ આપ્યોકોર્ટે ગિરિશના પક્ષમાં ફક્ત ચલ અને અચલ સંપત્તિના વહેંચણીના હેતુસર પ્રોબેટ પ્રમાણપત્ર ઈશ્યૂ કરવાનો આદેશ આપ્યો છે. તેમજ ભારતીય વારસાગત અધિનિયમ, 1925ની કલમ 291(બ) મુજબ અરજદારોને સંપત્તિના મૂલ્ય જેટલી રકમના બોન્ડ/સ્યુરિટી રજૂ કરવાના પણ નિર્દેશ આપ્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 1:54 pm

બોટાદ LCB પોલીસે શહેરમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો:તુરખારોડ પર સ્વીફ્ટ કારમાંથી ₹6.62 લાખનો દારૂ જપ્ત, 3 ઝડપાયા

બોટાદ LCB પોલીસે શહેરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. તુરખા રોડ પરથી એક સ્વીફ્ટ કારમાંથી ₹6.62 લાખની કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. ગુપ્ત બાતમીના આધારે, LCB ટીમે શનિદેવ મંદિર પાસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન, સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂની કુલ 288 બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ધર્મદીપ ઉર્ફે ધમો જળુ (ઉંમર 19), સુરેશભાઇ ચાવડા (ઉંમર 20) અને દનકુભાઇ ભાંભળાનો સમાવેશ થાય છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 1:54 pm

જામનગરના દરિયાકિનારે મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ:મરીન કમાન્ડોની અલગ અલગ ટીમોએ શંકાસ્પદ બોટ અને અવવારૂ જગ્યાઓનું ઝીણવટભર્યું ચેકિંગ કર્યું

જામનગર જિલ્લાના સંવેદનશીલ દરિયા કિનારા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. સામાન્ય રીતે, આતંકવાદી ઘટનાઓ પછીનો સમયગાળો અત્યંત સંવેદનશીલ હોય છે. જોકે, હાઈ એલર્ટ બાદ પરિસ્થિતિ સામાન્ય બન્યા પછી પણ સતત તકેદારી રાખવી અત્યંત મહત્વપૂર્ણ છે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય. આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક પી.એલ. માલસર, તેમજ મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. જામનગર સેક્ટરના પો.ઈ. ડી.આર. યાદવ અને પો.સ.ઈ. જી.એમ. બોપલિયા સહિતના મરીન કમાન્ડોએ સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી હતી. સિક્કા ડીસીસી જેટીથી ચેનલ વિસ્તાર સુધીના સમગ્ર કોસ્ટલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઈસમો, શંકાસ્પદ બોટ અને અવવારૂ જગ્યાઓનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 1:45 pm

ભારતમાલા એક્સપ્રેસ-વે સામે ગાંધીનગરના ખેડૂતોનો વિરોધ:બજાર ભાવના ગુણાંકમાં વળતર આપવા માગ; જમીન સર્વે અટકાવવાની ચીમકી

ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ થરાદ-અમદાવાદ ગ્રીનફીલ્ડ એક્સપ્રેસ હાઇ-વે માટે ગાંધીનગર જિલ્લામાં જમીન સંપાદન સામે અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શ્રીઅસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિ દ્વારા આજે (8 ડિસેમ્બર) ગાંધીનગર કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવી આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં જમીનના વળતર સહિત અન્ય પાંચ મુખ્ય મુદ્દાઓ પર યોગ્ય કાર્યવાહી કરવાની માગ સાથે જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી જમીન સંપાદનનો સર્વે અને જાહેરનામું સ્થગિત રાખવાની ચીમકી આપવામાં આવી છે. વાસ્તવિક બજાર ભાવો પ્રતિ વીઘે બેથી લઈને છ કરોડભારતમાલા પ્રોજેક્ટ હેઠળ થરાદ-અમદાવાદ ગ્રીનફીલ્ડ એક્સપ્રેસ હાઇવે માટે ગાંધીનગર જિલ્લામાં જમીન સંપાદન સામે અસરગ્રસ્ત ખેડૂતોની રજૂઆત છે કે, ગુજરાતના પાટનગર અને વેલ-ડેવલપ્ડ એરિયાની જમીન હોવાને કારણે અહીંના વાસ્તવિક બજાર ભાવો પ્રતિ વીઘે બે કરોડથી લઈને છ કરોડ સુધીના છે. આની સરખામણીમાં સરકારી જંત્રી ખુબ જ નહીવત છે, જેથી સરકારી જંત્રી મુજબ વળતર ખેડૂતોને ગ્રાહ્ય નથી. TDS ન લગાવી એક જ તબક્કામાં વળતરની માગશ્રીઅસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિની માગ છે કે, વળતર વાસ્તવિક બજાર ભાવના ગુણાંકમાં મળવું જોઈએ. આ માટે મૂલ્યાંકન સમિતિ દ્વારા સર્વે કરીને દરેક ગામની માર્કેટ વેલ્યુ નક્કી કરવામાં આવે અને તે મુજબ વળતર આપવામાં આવે. ખેડૂતોએ એ પણ માગ કરી છે કે, આ વળતરની ચુકવણી એક જ તબક્કામાં થવી જોઈએ અને તેના પર કોઈ પણ પ્રકારનો ટીડીએસ ન લગાવવામાં આવે. રોડની બન્ને બાજુ સર્વિસ રોડ આપવાની પણ માગખેડૂતોની બીજી મોટી માગ હાઇવેની બંને બાજુ સર્વિસ રોડ બનાવવાની છે. જિલ્લાનો વિસ્તાર વિકસિત અને ખેતી માટેનો પ્રાઈમ એગ્રિકલ્ચર ઝોન છે. સર્વિસ રોડ નહીં આપવાથી આ વિસ્તારનો વિકાસ રૂંધાશે અને સૌથી ગંભીર બાબત એ છે કે, ખેતરમાં જવા આવવાના રસ્તા બંધ થવાથી ખેડૂતો વચ્ચે આંતરિક પારિવારિક ક્લેશ થવાની સંભાવના છે. તેથી NHAI દ્વારા બંને બાજુ સર્વિસ રોડ બનાવી આપવાની માંગણી છે. જમીન સંપાદનની કામગીરી કરાઈ તો આંદોલનની ચીમકીવધુમાં રજૂઆત કરાઈ કે, ન્યાય મેળવવાના હેતુસર રચાયેલ થરાદ-અમદાવાદ અસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિના કોઈપણ બે સભ્યને જિલ્લાની મૂલ્યાંકન સમિતિમાં સ્થાન આપવામાં આવે, જેથી ખેડૂતોની રજૂઆત યોગ્ય રીતે પહોંચી શકે. ખેડૂતોએ ચીમકી આપી છે કે, જ્યાં સુધી આ મુખ્ય માંગોનું યોગ્ય ઉકેલ કે નિરાકરણ ન આવે ત્યાં સુધી જાહેરનામાં, સર્વે અને જમીન સંપાદનની અન્ય કામગીરી સ્થગિત રાખવામાં આવે. જો તંત્ર દ્વારા જમીન સંપાદનની કામગીરી કરવામાં આવશે તો અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા આંદોલનકારી વિરોધ કરવામાં આવશે અને સર્વેની કામગીરી થવા દેવામાં આવશે નહીં.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 1:44 pm

સાબરકાંઠા-અરવલ્લીમાં 9 સબસ્ટેશન બંધ રહેશે:મંગળવારે સમારકામના કારણે વીજ પુરવઠો ખોરવાશે

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આવતીકાલે, મંગળવારે, કુલ નવ વીજ સબસ્ટેશન સમારકામ માટે બંધ રહેશે. આને કારણે, સબસ્ટેશનમાંથી નીકળતા 11 KV ફીડરોનો વીજ પુરવઠો ખોરવાશે. હિંમતનગર UGVCL વર્તુળ કચેરી દ્વારા મળતી માહિતી મુજબ, ૯મી ડિસેમ્બરના રોજ સવારે 8 થી સાંજના 4 વાગ્યા દરમિયાન આ સમારકામ હાથ ધરાશે. સાબરકાંઠા જિલ્લાના જાદર, માલપુર, બાબસર, ખાપરેટા, કાળી ડુંગરી, નુરપુરા, વડાલી અને અરવલ્લી જિલ્લાના માલપુર, ધનસુરા ખાતેના 66 KV સબસ્ટેશન બંધ રહેશે. સમારકામ પૂર્ણ થયા બાદ અગાઉથી કોઈ સૂચના આપ્યા વિના વીજ પુરવઠો ફરીથી ચાલુ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર મહિનામાં બંને જિલ્લામાં કુલ 42 સબસ્ટેશનોમાં સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 1:40 pm

અમદાવાદ પોલીસ કમિશનરે વાડજ ટ્રાફિક જામનું નિરીક્ષણ કર્યું:250 પોલીસકર્મીની પોલીસ સ્ટેશનથી ટ્રાફિકમાં ઓર્ડર કરાશે

અમદાવાદમાં સુભાષબ્રિજ બંધ થતા વાડજ સર્કલ ખાતે ટ્રાફિકની સમસ્યા વધી છે. વાડજ બ્રીજની બંને તરફ સવાર સાંજ બંને સમયે ટ્રાફિક ખૂબ જ વધી રહ્યો છે જેને લઈને પોલીસ કમિશનર વાડજ ટ્રાફિક નિરીક્ષણ માટે પહોંચ્યા હતા.શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધતા અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 250 પોલીસકર્મીની ટ્રાફીકમાં બદલી કરવાનો જી. એસ. મલિક દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. રસ્તો સાંકડો હોવાથી ટ્રાફિક થતા વાહનોની લાંબી લાઇનસુભાષબ્રિજ પર તિરાડ પડતા સુભાબ્રિજ બંધ કરવામાં આવ્યો છે, જેથી વાહન ચાલકો હવે દૂધેશ્વર થઈ વાડજ તરફ જઈ રહ્યા છે. વાડજ સર્કલ ખાતે બ્રિજનું કામ ચાલુ હોવાથી રસ્તો સાંકડો હોવાથી ટ્રાફિક થતા વાહનોની લાંબી લાઇન લાગે છે જેના કારણે લાંબા સમય સુધી લોકોએ ટ્રાફીકમાં ઊભા રહેવું પડે છે.છેલ્લા 4 દિવસમાં અનેક વાહન ચાલકોની ટ્રાફિકની ફરિયાદ હતી. વાડજ બ્રિજથી વાડજ સર્કલ સુધી પોલીસ કમિશનરનું નિરીક્ષણઆજે શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિક વાડજ ટ્રાફિકની સમસ્યાને લઈને સ્થળ પર પહોચ્યા હતા. પોલીસ કમિશનર દ્વારા વાડજ બ્રિજથી વાડજ સર્કલ સુધી ચાલીને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રસ્તો સાંકડો હોવાનું પોલીસ કમિશ્નરના ધ્યાન પર આવતા AMCના અધિકારીને બિનજરૂરી વસ્તુઓ દૂર કરી રસ્તો પહોળો કરવા સૂચના આપી હતી. '250 પોલીસકર્મીની પોલીસ સ્ટેશનથી ટ્રાફિકમાં ઓર્ડર કરાશે'પોલીસ કમિશનર જી.એસ મલિકે જણાવ્યું હતું કે, વાડજ ખાતે ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી હતી. હજુ AMC દ્વારા સુભાષબ્રિજ અંગે કોઈ ટાઇમ લાઇન આપવામાં આવી નથી. જેથી લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તથા ટ્રાફિક ઓછો થાય તે માટે AMCના અધિકારીઓને વાડજ બનતા બ્રિજના કારણે રસ્તો સાંકડો થયો છે તેમ બિનજરૂરી વસ્તુઓ હટાવી રસ્તો પહોળો કરવા સૂચન આપ્યા છે. આ ઉપરાંત શહેરના અલગ અલગ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 250 પોલીસકર્મીની ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 1:35 pm

દાહોદ 10 ડિગ્રી સાથે સૌથી ઠંડુ, નલિયા બીજા નંબર પર:રાજ્યમાં તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી ગગડ્યો, ડિસેમ્બરમાં ઠંડી ભૂક્કા બોલાવે તેવી શક્યતા

રાજ્યના વિવિધ શહેરોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મિશ્ર વાતાવરણ જોવા મળ્યું છે. વહેલી સવારે અને રાત્રે કડકડતી ઠંડીનો માહોલ જામ્યો છે. તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે બપોર દરમિયાન પણ પવન ફુંકાઈ રહ્યો છે, જેથી વાતાવરણમાં ઠંડીનો પારો વધ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં દાહોદ 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડ રહ્યું છે. જ્યારે નલિયામાં 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે બીજા નંબર પર રહ્યું. જ્યારે 21.8 ડિગ્રી સેલ્સિયસ લધુત્તમ તાપમાન સાથે ઓખા સૌથી ગરમ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આગામી દિવસોમાં ઠંડી વધે તેવી પૂરી શક્યતા છે. દાહોદ 10 ડિગ્રી સાથે ઠંડુગારઅમદાવાદમાં મહત્તમ તાપમાન 29.9 અને લઘુત્તમ તાપમાન 15.5 નોંધાયું છે. આ ઉપરાંત, અમરેલીમાં મહત્તમ 30.5 અને લઘુત્તમ 15, જ્યારે બનાસકાંઠામાં મહત્તમ 29.6 અને લઘુત્તમ 14.8 નોંધાયું. સૌરાષ્ટ્રમાં, ભાવનગરમાં મહત્તમ 29.1 અને લઘુત્તમ 15.8, ભૂજમાં મહત્તમ 31.0 અને લઘુત્તમ 14.4, દ્વારકામાં મહત્તમ 30.2 અને લઘુત્તમ 19.4 નોંધાયું છે. મધ્ય ગુજરાતમાં, દાહોદ રાજ્યમાં સૌથી ઓછા લઘુત્તમ તાપમાન 10 સાથે ઠંડુ રહ્યું હતું. ઓખાનું મહત્તમ તાપમાન 27.4, સૌથી ગરમ શહેરજ્યારે ગાંધીનગરમાં મહત્તમ 30.3 અને લઘુત્તમ 15, કંડલામાં મહત્તમ 29.4 અને લઘુત્તમ 16.6, નલિયામાં મહત્તમ 30.9 અને લઘુત્તમ 11 નોંધાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં, ઓખામાં મહત્તમ 27.4 અને લઘુત્તમ 21.8 સાથે સૌથી ઊંચું લઘુત્તમ તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં મહત્તમ 30.9 અને લઘુત્તમ 14.6 જોવા મળ્યું છે. દક્ષિણ ગુજરાતમાં, સુરતમાં મહત્તમ 31.8 અને લઘુત્તમ 19.9 નોંધાયું છે, જ્યારે વેરાવળમાં મહત્તમ 29.6 અને લઘુત્તમ 19.2 નોંધાયું હતું.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 1:29 pm

આણંદમાં 22 નવા મહેસુલી ક્લાર્કને તાલીમ અપાઈ:સમય મર્યાદામાં શ્રેષ્ઠ કામગીરી કરવા શીખવાડાયું

આણંદ જિલ્લામાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પસંદ કરાયેલા 22 નવા મહેસુલી ક્લાર્કને તાલીમ આપવામાં આવી હતી. કલેક્ટર કચેરીના સભાખંડમાં નિવાસી અધિક કલેક્ટર આર. એસ. દેસાઈએ આ એક દિવસીય તાલીમનું આયોજન કર્યું હતું. આર. એસ. દેસાઈએ ક્લાર્કને સંબોધતા જણાવ્યું હતું કે, સારા કર્મચારી બનવા માટે હંમેશા શીખતા રહેવું જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, આણંદ જિલ્લામાં મહેસુલી ક્લાર્ક તરીકેની ફરજ દરમિયાન છેવાડાના માનવીની સેવા કરવાની તક મળી છે, જેને સારી રીતે નિભાવવા અપીલ કરી હતી. તેમણે નવનિયુક્ત ક્લાર્કને આવકારી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે નાયબ મામલતદાર દ્વિપ સુતરીયા, મનિષાબેન પરમાર, શીતલબેન પટેલ અને મેહુલભાઈ પરમારે પણ નવનિયુક્ત ક્લાર્કને આવકાર્યા હતા. તેમણે મહેસુલી ક્લાર્કની વિવિધ કામગીરી, શ્રેષ્ઠ પ્રદર્શન કેવી રીતે કરવું અને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આણંદ જિલ્લાના કોઈપણ તાલુકામાં ફરજ બજાવતી વખતે ઉત્તમ કામગીરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ તાલીમ સત્રમાં આણંદ જિલ્લામાં પસંદગી પામેલા તમામ 22 મહેસુલી ક્લાર્ક હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 12:59 pm

વડોદરાના અંકોડીયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ, VIDEO:ફાયરની પાંચ ટીમો ઘટનાસ્થળ પર, એક કલાકથી આગ બેકાબૂ

વડોદરા નજીક આવેલા અંકોડીયામાં આવેલા ફરાસખાના( મંડપનો માલસામાન રાખવાની જગ્યા)માં આગ લાગતા દોડધામ મચી છે. આગ એટલી વિકરાળ છે કે દૂર દૂરથી ધુમાડાના ગોટેગાટા જોવા મળી રહ્યા છે. ઘટનાના પગલે વડોદરા ફાયરની ચાર ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી છે. આ ઉપરાંત ટીપી 13, વાડીવાડી, જીઆઈડીસી, વાસણઆ ભાયલી ફાયરની ટીમો પણ ઘટનાસ્થળ પર પહોંચી છે. એક કલાકથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે પણ આગ હજી કાબૂમાં આવી નથી. (આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ)

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 12:54 pm

Dy.મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઓપરેશન મ્યૂલ હન્ટની સમીક્ષા બેઠક:સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ધરમૂળથી નાબૂદ કરવા ઓપરેશન મ્યૂલ હન્ટ શરૂ કરાયું

રાજ્યમાં વધતા સાયબર ગુનાઓ સામે કડક કાર્યવાહી માટે ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ(Cyber Centre of Excellence)દ્વારા વિશેષ અભિયાન ‘ઓપરેશન મ્યૂલ હન્ટ’ શરૂ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે આ અભિયાન અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ ઓપરેશનનો મુખ્ય હેતુ માત્ર મ્યૂલ એકાઉન્ટ ઓપરેટર સુધી જ સીમિત ન રહી, પરંતુ તેમના પાછળ કાર્યરત સંપૂર્ણ નેટવર્ક અને માસ્ટરમાઇન્ડ ‘આકાઓ’ સુધી પહોંચીને કડક કાર્યવાહી કરવાનો છે. સાયબર ક્રાઈમનાં પેટર્ન ચર્ચાઆ બેઠકમાં રાજ્યના તમામ પોલીસ કમિશનર, રેન્જ IG, જિલ્લાકક્ષાના પોલીસ વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ મારફતે જોડાયા હતા. તેમણે સાયબર ક્રાઈમનાં પેટર્ન, બેંકિંગ ટ્રાન્ઝેક્શન અને વિશેષ એનાલિસિસ આધારિત ચેકિંગ/વેરિફિકેશન ડ્રાઇવ અંગે વિગતવાર ચર્ચા કરી. ગુનેગારોના નેટવર્કને તોડવા ઓપરેશન મ્યૂલ હન્ટનાયબ મુખ્યમંત્રીએ સૂચના આપી કે ઓપરેશન મ્યૂલ હન્ટ અંતર્ગત રાજ્યની તમામ યુનિટ્સ સક્રિયપણે જોડાય અને ગુનેગારોના નેટવર્કને તોડી પાડવામાં ઇન્ટર-કો-ઓર્ડિનેશન વધુ મજબૂત બનાવવામાં આવે. 'વેરિફિકેશન પછી જ કાર્યવાહી કરવામાં આવે'નાયબ મુખ્યમંત્રીએ બેઠકમાં સ્પષ્ટ ભાર મૂક્યો કે પોલીસ કાર્યવાહી દરમિયાન કોઈ નિર્દોષ નાગરિક હેરાન ન થાય. જો કોઈના ખાતામાં પૈસા આવ્યા હોય પરંતુ તેનો સાયબર ગુનાથી કોઈ સંબંધ ન હોય, તો યોગ્ય વેરિફિકેશન પછી જ કાર્યવાહી કરવામાં આવે. નિર્દોષ લોકોને બિનજરૂરી તકલીફ ન થાય તેના માટે પોલીસ વિશેષ સતર્કતા રાખે, એવી ખાસ સૂચના હર્ષ સંઘવીએ આપી છે. સાયબર ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવાશેસાયબર સેફ ગુજરાતને સુનિશ્ચિત કરવા માટે અને સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને નાબૂદ કરવા આ ઓપરેશનને ગેમ-ચેન્જર માનવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર અને પોલીસ તંત્રે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સાયબર ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 12:47 pm

ભુજમાં સોશિયલ મીડિયાથી છેતરપિંડીનો પ્રયાસ કરતા એક ઝડપાયો:આરોપી ફેક ID બનાવી 3 લાખના 10 લાખ આપવાની લાલચ આપતો હતો

પશ્ચિમ કચ્છ પોલીસે સોશિયલ મીડિયા પર છેતરપિંડીનો પ્રયાસ કરતા એક આરોપીને ભુજમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી સલમાન કુરેશી લોકોને 'ત્રણ લાખના દસ લાખ' કરી આપવાની લાલચ આપી નકલી નોટોના બંડલ દ્વારા છેતરપિંડી કરતો હતો. આ અગાઉ પણ આવી ટોળકીના બે સભ્યો ઝડપાયા હતા. એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ.આર.જેઠીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. સુરેન્દ્રસિંહ ઝાલા, પંકજભાઇ કુશવાહ, હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ જીવરાજભાઇ ગઢવી ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન રાજેન્દ્રસિંહ રાઠોડ અને રણજીતસિંહ જાડેજાને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, ભુજના મુસ્લિમ એજ્યુકેશન ચોકડી પાસે રહેતો સલમાન કુરેશી (ઉ.વ. 22) મુસ્લિમ એજ્યુકેશન ચોકડી ફાટક પાસે પોતાની હ્યુન્ડાઇ આઇ-10 ગાડી (GJ-12-FF-2947) માં હતો. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટા નામે ફેક આઈડી બનાવી ભારતીય ચલણી નોટોના વીડિયો બનાવતો હતો. આ વીડિયોમાં તે અલગ-અલગ પેટીઓમાં ભારતીય ચલણની નોટોના બંડલો રાખતો હતો, જેમાં ઉપરની નોટ સાચી અને બાકીની 'ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા' લખેલી નકલી નોટો હતી. આરોપી આ વીડિયો દ્વારા લોકોને ત્રણ લાખના બદલામાં દસ લાખ આપવાની લાલચ આપતો હતો. તેની પાસેથી મળી આવેલા મોબાઇલમાં sankarmaraz અને shamji_patel1 નામની ઇન્સ્ટાગ્રામ પર ખોટી આઈડી ચાલુ હતી. આ આઈડી પર તેણે રૂ. 500, રૂ. 200 અને રૂ. 100 ની ચલણી નોટોના બંડલોના વીડિયો પોસ્ટ કર્યા હતા, જેમાં કેપ્શનમાં ત્રણ લાખ કા દશ લાખ લોકેશન ગુજરાત એવી જાહેરાત હતી. આ હકીકતના આધારે એલસીબીએ સલમાન સાજીદ કુરેશીને ઝડપી પાડી તેની વિરુદ્ધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. પોલીસે તેની પાસેથી ત્રણ મોબાઇલ ફોન (કિંમત રૂ. 20,000), બે સિમકાર્ડ, વીડિયો બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલી રૂ. 500 ની 18 સાચી નોટો (કિંમત રૂ. 9,000), રૂ. 500 ના દરની 'ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા' લખેલી નોટોના 18 બંડલ અને હ્યુન્ડાઈ આઇ-10 કાર (કિંમત રૂ. 3 લાખ) સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 12:44 pm

રેલવે ટ્રેક પર સિંહ પરિવારનો અડિંગો:​જૂનાગઢના ગ્રોફેડ પાસે રેલવે ટ્રેક પર પાંચથી વધુ સિંહોનો જમાવડો, રાહદારીએ વીડિયો બનાવ્યો; વન વિભાગે સુરક્ષિત ખસેડ્યા

જૂનાગઢના ગ્રોફેડ વિસ્તાર નજીકથી પસાર થતા રેલવે ટ્રેક પર આરામ ફરમાવતા સિંહ પરિવારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયો કોઈ રાહદારી દ્વારા બનાવવામાં આવ્યો હતો. રેલવે ટ્રેક પર સિંહ પરિવાર હોવાની જાણ થતા વનવિભાગની ટીમે તાત્કાલીક ઘટના સ્થળ પર પહોંચી ટ્રેક પરથી દૂર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. રેલવે ટ્રેક પર આરામ ફરમાવતા પાંચ સિંહ જોવા મળ્યા​આ ઘટના જૂનાગઢ શહેરની નજીક આવેલા ગ્રોફેડ વિસ્તાર પાસેના રેલવે ટ્રેક પર બની હતી. અહીંથી જૂનાગઢથી ઉના, દેલવાડા, સાસણ અને અમરેલી તરફ જતી ટ્રેનો પસાર થાય છે. દિવસ દરમિયાન તમામ ટ્રેનો પસાર થઈ ગયા બાદ, સાંજના સમયે આ સિંહ પરિવારે રેલવે ટ્રેકને પોતાનું આરામસ્થાન બનાવ્યું હતું. ​આ દ્રશ્યો એક રાહદારીએ પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પાંચથી વધુ સિંહોનો પરિવાર શાંતિથી રેલવે ટ્રેક પર આરામ કરી રહ્યો છે. રેલવે ટ્રેક સિંહ પરિવારો માટે ગરમીમાં ઠંડક આપતો કે ઊંચી સપાટી પર નજર રાખવા માટેનું સ્થાન બની જાય છે. ગીરનારના જંગલમાં 54 થી વધુ સિંહોનો વસવાટ છે, અને શિકારની શોધમાં સિંહણ સહિતના સભ્યો જંગલની હદ વટાવીને રહેણાંક અને રેવન્યુ વિસ્તારમાં વારંવાર આવી ચઢતા હોય છે. ​વનવિભાગને જાણ થતા સિંહ પરિવારને ટ્રેક પરથી દૂર કર્યો​​રેલવે ટ્રેક પર સિંહો આવી ચડ્યાની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવી હતી. માહિતી મળતા જ વન વિભાગની ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી ગઈ હતી. વન વિભાગે તાત્કાલિક ધોરણે આ સિંહ પરિવારને રેલવે ટ્રેક પરથી ઉતારીને જંગલમાં સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. ​સરકારની સૂચના મુજબ, રેલવે ટ્રેક પર સિંહોના અકસ્માતોને રોકવા માટે રેલવે વિભાગ અને વન વિભાગ દ્વારા સંયુક્તપણે સાવચેતીભર્યા પગલાં લેવામાં આવી રહ્યા છે.જંગલ વિસ્તારની નજીક આવેલા રેલવે ટ્રેક પર સિંહોના આવાગમનને ધ્યાનમાં રાખીને અકસ્માતો નિવારવા માટે ખાસ કામગીરી ચાલી રહી છે.અગાઉ પણ એવા બનાવો બન્યા છે, જ્યારે ટ્રેન પસાર થતી હોય અને રેલવે ટ્રેક પર સિંહ હોવાનું સામે આવતા વન વિભાગ દ્વારા ટ્રેનને રોકી દેવામાં આવી હોય છે. આ દર્શાવે છે કે સિંહોની સલામતી માટે બંને વિભાગો ગંભીરતાથી કાર્ય કરી રહ્યા છે. ​જંગલ વિસ્તારની નજીક રેલવે ટ્રેક હોવાથી સિંહોના આવા વીડિયો વારંવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. સ્થાનિકો અને રાહદારીઓ દ્વારા આ દ્રશ્યો મોબાઇલમાં કેદ કરવામાં આવે છે. વન્યજીવ અને માનવ વસાહત વચ્ચેની વધતી નિકટતાને જોતાં, સિંહોની સુરક્ષા અને અકસ્માતોને ટાળવા માટે વન વિભાગ અને રેલવે વિભાગની આ સાવચેતીભરી કામગીરી ખૂબ જરૂરી છે. ​આ દ્રશ્યો એક રાહદારીએ પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પાંચથી વધુ સિંહોનો પરિવાર શાંતિથી રેલવે ટ્રેક પર આરામ કરી રહ્યો છે. રેલવે ટ્રેક સિંહ પરિવારો માટે ગરમીમાં ઠંડક આપતો કે ઊંચી સપાટી પર નજર રાખવા માટેનું સ્થાન બની જાય છે. ગીરનારના જંગલમાં 54 થી વધુ સિંહોનો વસવાટ છે, અને શિકારની શોધમાં સિંહણ સહિતના સભ્યો જંગલની હદ વટાવીને રહેણાંક અને રેવન્યુ વિસ્તારમાં વારંવાર આવી ચઢતા હોય છે. ​રેલવે ટ્રેક પર સિંહો આવી ચડ્યાની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવી હતી. માહિતી મળતા જ વન વિભાગની ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી ગઈ હતી. વન વિભાગે તાત્કાલિક ધોરણે આ સિંહ પરિવારને રેલવે ટ્રેક પરથી ઉતારીને જંગલમાં સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. સરકારની સૂચના મુજબ, રેલવે ટ્રેક પર સિંહોના અકસ્માતોને રોકવા માટે રેલવે વિભાગ અને વન વિભાગ દ્વારા સંયુક્તપણે સાવચેતીભર્યા પગલાં લેવામાં આવી રહ્યા છે.જંગલ વિસ્તારની નજીક આવેલા રેલવે ટ્રેક પર સિંહોના આવાગમનને ધ્યાનમાં રાખીને અકસ્માતો નિવારવા માટે ખાસ કામગીરી ચાલી રહી છે.અગાઉ પણ એવા બનાવો બન્યા છે, જ્યારે ટ્રેન પસાર થતી હોય અને રેલવે ટ્રેક પર સિંહ હોવાનું સામે આવતા વન વિભાગ દ્વારા ટ્રેનને રોકી દેવામાં આવી હોય છે. આ દર્શાવે છે કે સિંહોની સલામતી માટે બંને વિભાગો ગંભીરતાથી કાર્ય કરી રહ્યા છે. ​જંગલ વિસ્તારની નજીક રેલવે ટ્રેક હોવાથી સિંહોના આવા વીડિયો વારંવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. સ્થાનિકો અને રાહદારીઓ દ્વારા આ દ્રશ્યો મોબાઇલમાં કેદ કરવામાં આવે છે. વન્યજીવ અને માનવ વસાહત વચ્ચેની વધતી નિકટતાને જોતાં, સિંહોની સુરક્ષા અને અકસ્માતોને ટાળવા માટે વન વિભાગ અને રેલવે વિભાગની આ સાવચેતીભરી કામગીરી ખૂબ જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 12:41 pm

શાતિર ચોરે ચારીના પૈસા પોલીસ પાસેથી મેળવી ફોટોસેશન કર્યું:સુરતમાં રત્નકલાકારે મકાન માલિકના ઘરમાંથી અઢી લાખ ચોર્યા; બાઈકમાં થેલી ભૂલ્યાનું નાટક રચ્યું, સો. મીડિયાથી ભાંડો ફૂટ્યો

લોકો માટે સોશ્યિલ મીડિયા ક્યારેક નુકશાનકારક તો ક્યારેક ફાયદાકારક સાબીત થયુ હોય છે અને આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. રાંદેર પોલીસને રોકડા રૂ. 2.69 લાખ લટકાવેલી થેલી સાથે બિનવારસી હાલતમાં એક બાઈક મળી આવી હતી. પોલીસે બાઇકના નંબરના આધારે તેના મુળ માલિક હીરના કારખાનામાં મેનેજરને શોધીને પરત કરી હતી. દર વખતની જેમ આ વખતે પણ પોલીસે રૂપિયા પરત આપતો વીડિયો બનાવ્યો અને મુળ માલિકની ખરાઈ કર્યા વગર રોકડ રકમ પરત કરી દીધી હતી. આ ઘટનાના થોડા દિવસ પહેલાં મેનેજરના મકાન માલિકના ઘરમાં ચોરી થઈ હતી અને તેની ફરિયાદ પણ નોંધાઈ હતી. પોલીસે બનાવેલો વીડિયો મકાન માલિક સુધી પહોંચતા તેઓને થયું કે, ત્રણ મહિનાથી ભાડું ચુકવ્યું નથી તો મેનેજર પાસે આટલા પૈસા ક્યાથી આવ્યાં અને ભાંડો ફૂટી ગયો હતો. જે પૈસાથી મેનેજરે પોલીસ સાથે ફોટોસેશન કર્યું તે મકાન માલિકના ઘરમાંથી જ ચોર્યા હતાં. શાતિર ચોરે પોલીસની આંખમાં પણ ધૂળ નાખી હતી. પહેલા રૂપિયા ભરેલી થેલી સાથે બાઇક મળીરાંદેર રામનગર વિસ્તારમાં એક પાન સેન્ટરની બહાર લાંબા સમયથી પડેલી બાઈક જોઈ દુકાનદારને શંકા જતા તેણે બાઈક પર લટકાવેલા એક થેલાની તપાસ કરી હતી. જેમાં થેલામાંથી રોકડા રૂપિયા 2.69 લાખ, ચાર જોડી કપડાં, દારૂની એક નાની બોટલ મળી આવી હતી. બાદમાં દુકાનદારે રાંદેર પોલીસને જાણ કરી હતી અને પોલીસે 36 કલાકની જહેમત બાદ કતારગામ પોલીસનો સંપર્ક કરી બાઈક માલિકને શોધી કાઢ્યો હતો. આ બાઈક દક્ષેશકુમાર અરવિંદભાઈ પટેલ (ઉં.વ46)ની હતી, જે 53, પંચદેવ સોસાયટી, આંબા તલાવડી, કતારગામમાં રહે છે અને હીરાના કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. દીકરાની ફીના પૈસા હોવાનું કહ્યું, પોલીસે પરત આપી ફોટોસેશન કર્યુંપોલીસ સ્ટેશને પહોંચેલા દક્ષેશએ જણાવ્યું હતું કે, તે જહાંગીરપુરા ખાતે રહેતા મિત્રના ઘરેથી પરત ફરી રહ્યા હતા. તેમની પાસે રહેલા 2.69 લાખ રૂપિયા તેમના દીકરાની ફી ભરવા માટે હતા. દક્ષેશને રામનગર ચાર રસ્તા પાસે અચાનક જ જબરદસ્ત ચક્કર આવ્યા, જેથી તે મેડિકલ સ્ટોર શોધવા લાગ્યા હતા. મેડિકલ સ્ટોર તો મળી ગયો, પણ ત્યાં દવાની લ્હાયમાં તે તેમનું બાઈક અને તેમાં રહેલા લાખો રૂપિયા ત્યાં જ ભૂલી ઘરે જતા રહ્યા હતા. બાદમાં પોલીસે તેને બેગ સુપરત કરી અને ફોટોસેશન પણ કર્યું હતું. સાથે જ રાંદેર પોલીસે દક્ષેશના ઘર જઈ સર્વે કર્યો તો તેનો એક દીકરો વિધાનગરમાં અભ્યાસ કરે છે અને તેની ફી ભરવાના પૈસા હોવાનું માની લીધુ હતું. સો. મીડિયામાં વીડિયો જોઈ મકાન માલિકને શંકા ગઈઆ સમયે એકલા રહેતા દક્ષેશના મકાન માલિક આકાશભાઈના ધ્યાને સમગ્ર ઘટનાનો વીડિયો આવ્યો હતો. તેઓને શંકા ગઈ કે, દક્ષેશે છેલ્લા 3 મહિનાથી તેણે ભાડું ચૂકવ્યું નથી તો આટલી મોટી રકમ તેની પાસે ક્યાંથી આવી? જે શંકાના આધારે તેમને ઘરમાં તપાસ કરી તો તેમના ઘરમાં જ રોકડ અને સોનાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી તેમણે કતારગામ પોલીસનો સંપર્ક કર્યો હતો. કતારગામ પોલીસે ગુનો નોધી તપાસ કરતાં દક્ષેશે જ આકાશભાઈના ઘરમાં ચોરી કરી હોવાનું બહાર આવતા તેની ધરપકડ કરી હતી. સારા સંબંધો હોવાથી આરોપી અવારનવાર ફરિયાદીના ઘરે આવતો કતારગામ આંબાતલાવડી રોડ ઉપર આવેલી પંચદેવ સોસાયટીમાં રહેતા આકાશભાઈ હિમંતભાઈ શિરોયા હીરાનો વેપાર કરે છે. તેમના મકાનની ઉપરના માળે રહેતો દક્ષેશકુમાર અરવિંદભાઈ પટેલ હીરા કારખાનામાં મેનેજર તરીકે કામ કરે છે. બંનેના પરિવારો વચ્ચે સારા સંબંધો હોવાથી દક્ષેશ અવારનવાર આકાશભાઈના ઘરે આવતો હતો. આ કારણે ઘરના લોકર અને કબાટની ચાવી ક્યાં મુકવામાં આવે છે તેની તેને જાણકારી હતી. આ દરમિયાન 26 નવેમ્બર, 2025ના સવારે 10 વાગ્યાથી લઈને 5 ડિસેમ્બર, 2025ના સાંજે 5 વાગ્યા સુધીના સમય ગાળા દરમિયાન ઘરે મોટા સભ્યો નહીં હોવાથી તે અહીં આવ્યો હતો અને લોકરમાંથી 1,00,000નું 20 ગ્રામ સોનું અને રોકડા 3,55,000 મળી કુલ રૂ. 4,55,000ની મત્તા ચોરી ગયો હતો. શાતિર ચોરે પોલીસની આંખમાં પણ ધૂળ નાખીઆ શાતિર ચોર એવા રત્નકલાકારે મકાન માલિકના ઘરમાં ચોરી કરી હતી અને ત્યારબાદ પોલીસની આંખમાં પણ ધૂળ નાખી હતી. રૂપિયા પરત લેતા સમયે પણ પોલીસને જાણ ન થાય તે પ્રકારની કહાની બનાવી હતી, જેથી પોલીસ પણ તેની વાતમાં આવી ગઈ હતી. જોકે, સોશિયલ મીડિયાના એક વીડિયોના કારણે મકાન માલિકને તેના ઘરમાં ચોરી થયાની શંકા ગઈ અને શાતિર ચોરનો ભાંડો ફૂટી ગયો હતો. પહેલા રાંદેર પોલીસ અને હવે કતારગામ પોલીસ સ્ટેશનના પગથિયાં ચડવાનો વારો આવ્યો છે અને જેલના સળિયા ગણવા પડી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 12:27 pm

વિકસિત ગુજરાત @ 2047, સ્ટ્રેટેજી રૂમનું લોકાર્પણ:રાજ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને યોજનાઓની પ્રગતિ પર રિયલટાઇમ મોનિટરિંગ અને ડેટા આધારિત મૂલ્યાંકન થશે

વિકસિત ગુજરાત @ 2047ના મહાલક્ષ્યને સિદ્ધ કરવા સરકાર દ્વારા મજબૂત પ્લાનિંગ અને સ્ટ્રેટેજિક અમલીકરણ માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. આ અંતર્ગત, ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) ખાતે ‘વિકસિત ગુજરાત સ્ટ્રેટેજી રૂમ’નું આજે ગાંધીનગરના કર્મયોગી ભવનમાં લોકાર્પણ કરવામાં આવ્યું. પ્રોજેક્ટ અને યોજનાઓની પ્રગતિ પર રિયલટાઈમ મોનિટરિંગ અને ડેટા આધારિત મૂલ્યાંકન થશેઆ આધુનિક સ્ટ્રેટેજી રૂમમાં ડિજિટલ ડેશબોર્ડ, લાઇબ્રેરી, રિસર્ચ અને એનાલિસિસ સુવિધાઓ સાથે પોડકાસ્ટ ઝોન જેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. અહીં રાજ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને યોજનાઓની પ્રગતિ પર રિયલટાઇમ મોનિટરિંગ અને ડેટા આધારિત મૂલ્યાંકન થશે. ખાસ કરીને વિકસિત ગુજરાત@2047 માટે નક્કી કરાયેલા લક્ષ્યોની સિદ્ધિ માટે KPIsનું સતત ટ્રેકિંગ, કામગીરીનું વિશ્લેષણ અને નવી સ્ટ્રેટેજી માટે આ સેન્ટર મહત્વનું યોગદાન આપશે.રાજ્ય સરકાર માને છે કે GRIT દ્વારા ઉભું કરાયેલ આ સ્ટ્રેટેજી રૂમ રાજ્યના વિકાસના આગામી ચરણને વધુ ગતિ અને દિશા આપશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 12:24 pm

મહિલાઓ સાથે તોછડું વર્તન કરવાનો વિવાદ:મેયરના દબાણ ખાતાના અધિકારી સામે તપાસના આદેશ, જાણો શું છે મામલો

સુરતના વરાછામાં શાકભાજી વેચતી એક મહિલા સાથે કોર્પોરેશનના દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા તોછડુ વર્તન કરવામાં આવ્યું હતું. જેથી વૃદ્ધ મહિલાઓનું ટોળું પોતાની વ્યથા ઠાલવવા ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસે પહોંચ્યું હતું. આ મહિલાઓની આંખોમાં આંસુ સાથે તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો હતો. દિવ્ય ભાસ્કરના આ અહેવાલ બાદ મેયર દક્ષેશ માવાણીએ તાત્કાલિક દબાણ ખાતાના અધિકારી સામે તપાસના આદેશ આપ્યા છે. આ અધિકારીએ જમીન પર શાકભાજી વેચતી એક વૃદ્ધ મહિલા સાથે તોછડું વર્તન અને અશોભનીય ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. ત્યાર બાદ શનિવારે તંત્રની કડક કાર્યવાહી અને અધિકારીઓના તોછડા વર્તનથી ત્રસ્ત થયેલી વૃદ્ધ મહિલાઓનું ટોળું પોતાની વ્યથા ઠાલવવા ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસે પહોંચ્યું હતું. આ મહિલાઓની આંખોમાં આંસુ સાથે તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. ‘હું શું ત્યાં ભટ્ટ સાહેબની બાપની બાયડી બનવા ગઈ હતી?’એક વૃદ્ધ મહિલાએ ધ્રુજતા અવાજે અને રડતાં-રડતા પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, જ્યારે સાહેબો મારો સામાન જપ્ત કરી રહ્યા હતાં, ત્યારે હું કરગરી રહી હતી. મેં ભટ્ટ સાહેબને હાથ જોડીને કહ્યું કે, સાહેબ, હું તમારી માની ઉંમરની છું, મારી લાચારી સમજો. ત્યારે ભટ્ટ સાહેબે વળતા જવાબમાં મને હીન કક્ષાના શબ્દો સાંભળ્યા છે. શું ગરીબ હોવું એ અમારો ગુનો છે? ‘અમે કોઈ ટ્રાફિકને નડતરરૂપ નથી થતા’ધારાસભ્યને રજૂઆત કરવા આવેલી અન્ય મહિલાએ કહ્યું કે, છેલ્લા 10 દિવસથી અમારો ધંધો બંધ છે. ઘરમાં ખાવા માટે અનાજ નથી. અમારી પાસે કોઈ ગાડી નથી, કોઈ ટેમ્પો નથી. અમે કોઈ ટ્રાફિકને નડતરરૂપ નથી થતા, અમે તો સાઈડમાં બેસીએ છીએ, છતાં મ્યુનિસિપાલટીની ગાડી આવે છે, અમારો સામાન વેરવિખેર કરી નાખે છે અને જપ્ત કરીને લઈ જાય છે. અમે ચોરી નથી કરતા, મહેનત કરીએ છીએ. અમને જગ્યા આપે અને ધંધો કરવા દે. આ સાથે જ રોષે ભરાયેલી મહિલાઓએ પોલીસની કામગીરી પર આક્ષેપો કરતા જણાવ્યું કે, દારૂ અને જુગારના અડ્ડાઓ ચાલે છે, તેઓને પકડો. તેઓ પાસેથી પૈસા મળે છે એટલે, અમારી પાસે કઈ ન મળે. અમે કઈ દારૂ નથી વેચતા, ઈમાનદારીનો ધંધો કરીએ છીએ. એક પ્રશ્ન હલ કરવા જતા કોઈ સાથે અન્યાય ન થવો જોઈએઃ કાનાણી આ મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું કે, ટ્રાફિકની સમસ્યા માટે દબાણ હટાવવું જરૂરી છે, પરંતુ તેની નિર્દોષ અને ગરીબ લોકો હેરાન ન થવા જોઈએ. વરાછામાં ટ્રાફિક અને ગેરકાયદેસર દબાણનો પ્રશ્ન વિકટ છે, જે માટે મેં જ તંત્રને પત્ર લખ્યો હતો, પરંતુ મારો ઉદ્દેશ્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને માથાભારે દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરવાનો હતો. તેમણે ઉમેર્યું કે, જે વૃદ્ધ મહિલાઓ પોતાની જગ્યા પર બેસીને શાંતિથી વેપાર કરે છે, તેમનો સામાન જપ્ત કરવો અને તેમની સાથે અમાનવીય વર્તન કરવું યોગ્ય નથી. શું છે સમગ્ર મામલો?બનાવની વિગત એવી છે કે, વરાછામાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે સુરત મહાનગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે. આ દરમિયાન વરાછામાં રસ્તાની સાઈડમાં જમીન પર બેસીને શાકભાજી વેચતી વૃદ્ધ મહિલાઓની લારીઓ અને સામાન દબાણ શાખા દ્વારા જપ્ત કરી લેવાયો હતો. આ સમયે મહિલાઓએ પોતાના સામાન પરત આપવા માટે આજીજી કરી હતી. આ સમયે તંત્રના કર્મચારીઓએ માનવતા નેવે મૂકી દીધી હોવાનો આક્ષેપ મહિલાઓએ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 12:22 pm

સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનની ગ્રાન્ડ ફિનાલે 2025:સાયબર અને સ્પેસ વોરથી કઈ રીતે બચવું?, 13 રાજ્યોના 300 વિદ્યાર્થીઓ સમસ્યાનું સમાધાન શોધશે

સેટેલાઇટ વિસ્તારમાં આવેલા શિવાનંદ આશ્રમમાં સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનની ગ્રાન્ડ ફિનાલે 2025 યોજવામાં આવી છે. ISRO અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું છે. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2025 માટે કોમ્યુનિકેશન, નેવિગેશન, રીમોટ સેન્સિંગ, સાયબર વોર, સ્પેસ વોરને લગતા અલગ અલગ વિષયો પર 11 પ્રોબ્લેમ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જે માટે 1300 કરતા પણ વધુ વિદ્યાર્થીઓએ પોતાના આઇડિયા સાથેની અરજી મોકલી આપી હતી. જેમાંથી 300 વિદ્યાર્થીઓના આઇડિયા પસંદ કરવામાં આવ્યા હતા. જેમની આજથી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2025 માટેની ગ્રાન્ડ ફિનાલે શરૂ થઈ છે. 55 ટીમના 300 જેટલા વિદ્યાર્થીઓ 36 કલાક સુધી અલગ અલગ પ્રોબ્લેમના સોલ્યુશન શોધશે. સાયબર અને સ્પેસ વોરથી બચવાનો રસ્તો શોધવાનો પ્રયત્ન કરાશેઅત્યારે દેશમાં સાયબર ફ્રોડના કેસ ખૂબ વધી રહ્યા છે. દરરોજ અનેક લોકો સાયબર ફ્રોડના કારણે લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે. જેથી સાયબર સિક્યુરિટી અને સ્પેસ સિક્યુરિટી ખૂબ મહત્વની બની ગઈ છે. જેને ધ્યાનમાં રાખીને પણ ISRO દ્વારા કેટલાક પ્રોબ્લેમ શોધવામાં આવ્યા હતા. સાયબર વોર અને સ્પેસ વોરથી કઈ રીતે બચી શકાય તે માટેના પ્રોબ્લેમ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જેના પર વિદ્યાર્થીઓ 36 કલાક કામ કરશે અને દેશની સુરક્ષા માટે સાયબર વોર અને સ્પેસ વોરના પ્રોબ્લેમ પર વિદ્યાર્થીઓ કામગીરી કરવાના છે. ISRO ના ડિરેક્ટરની માનવું છે કે ભવિષ્યમાં સાયબર વોર અને સ્પેસ વોરથી થઈ શકે છે જેથી દેશને તેના માટે તૈયાર કરવો ખૂબ જરૂરી બની ગયું છે. જેથી તેના પર વધુ ભાર મૂકીને તેને લગતા પ્રોબ્લેમના સોલ્યુશન શોધવામાં આવશે. 13 રાજ્યના 300 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવીસ્માર્ટ ઇન્ડિયા હેકાથોનની ગ્રાન્ડ ફિનાલે 2025માં 13 રાજ્યના 222 વિદ્યાર્થીઓ અને 108 વિદ્યાર્થીનીઓ એટલે કે કુલ 300 જેટલા વિદ્યાર્થીઓની પંસદગી કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રોબ્લેમના સોલ્યુશન શોધવા માટે 36 કલાક સુધી કામગીરી કરવાના છે. 36 કલાક સુધી કામગીરી કરીને વિદ્યાર્થીઓ જે પ્રોબ્લમના સોલ્યુશન શોધશે તેનો ઉપયોગ ISRO સ્પેસ પ્રોગ્રામમાં કરવાની છે. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનની ગ્રાન્ડ ફિનાલે 2025ની ઓપનિંગ સેરેમનીમાં રાજ્ય સરકારના મંત્રી ત્રિકમ છાંગા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. રાજ્ય સરકારના મંત્રી ત્રિકમ છાંગાએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. આ પ્રકારના કાર્યક્રમથી વિકસિત ભારતને ઝડપથી વેગ મળવાનો છે. ટેકનિકલ જાણકારી આધારિત અને ઇન્ડસ્ટ્રી બેઝની સંકલ્પના અને રાજ્યમાં ઇનોવેટિવ આઈડિયાના માધ્યમથી રાજ્ય અને દેશને નવી દિશાઓ અને નવી ઊંચાઈઓ તરફ લઈ જવામાં આવી રહી છે. દીકરીઓ પણ આવા ઇનોવેટિવ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે, અને ભાઈઓની પણ બરાબરી કરી રહી છે. વિદ્યાર્થીઓ 36 કલાક સુધી પ્રોબ્લેમ શોધવાનો પ્રયાસ કરશેISROના ડિરેક્ટર નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે, ભારતને ફેસ કરતા પ્રોબ્લેમ અને સ્પેસને લગતા જે મેજર પ્રોબ્લેમ હોય તે વિદ્યાર્થીઓ સમગ્ર રજુ કરીએ છીએ. અલગ અલગ વિષયોના પ્રોબ્લેમ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોમ્યુનિકેશન, નેવિગેશન, રીમોટ સેન્સિંગ, AI નો ઉપયોગ કરીને સ્પેસને લગતા પ્રોબ્લેમ સહિત વિષયોને આવરી લઈને વિદ્યાર્થી સમક્ષ 11 પ્રોબ્લેમ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં 1325 આઇડિયા આવ્યા હતા, જેમાંથી 55 ટીમ સિલેક્ટ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ 36 કલાક સુધી પ્રોબ્લેમનો સોલ્યુશન શોધવાનો પ્રયાસ કરશે. જેનો ઉપયોગ સ્પેસ પ્રોગ્રામમાં કરવામાં આવશે. તેમજ વિદ્યાર્થીઓની રુચિ જાગૃત થઈ તે માટે ઇન્ટર્નશિપ પણ ઓફર કરવામાં આવશે. વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલે ત્યાં સુધી સ્પેસની લગતી પ્રવૃત્તિઓમાં જોડવામાં આવશે. વધુમાં ISRO ના ડિરેક્ટર નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે, સાયબર સિક્યુરિટી રિલેટેડ પ્રોબ્લેમ પણ આમાં જોડવામાં આવ્યા છે. કારણ કે ભવિષ્યમાં સાયબર વોર અને સ્પેસ વોર જ થવાની છે. જેથી તેને લગતા સોલ્યુશન પર વિદ્યાર્થીઓ વિચાર કરે. જેથી આપણા દેશની સુરક્ષા જળવાઈ રહે. ઓવરઓલ અને ફિઝિકલ સુરક્ષા માટે તો ISRO સહિતની સંસ્થાઓ તો કામ કરી જ રહી છે. સાથે સાથે સાયબર સુરક્ષા માટે અને સાયબર સિક્યુરિટી માટે આપણે એક્ટિવ રહીએ તે માટેના પણ પ્રોબ્લેમના સોલ્યુશન શોધવામાં આવશે. GTU ના કુલપતિ રાજુલ ગજ્જરે જણાવ્યું હતું કે, સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનમાં હાર્ડવેર અને સોફ્ટવેરના પ્રોબ્લેમ પર કામ કરવામાં આવે છે. આપણા ત્યાં સોફ્ટવેરના પ્રોબ્લેમ પર કામ કરવામાં આવી રહ્યું છે. AI, સાયબર સહિતના ડિજિટલ જે પ્રોબ્લેમ હોય તેને લગતા પ્રોબ્લેમના સોલ્યુશન પર વિદ્યાર્થીઓ કામ કરશે. માત્ર સોલ્યુશન અગત્યનું નથી પરંતુ તે તરફ વિદ્યાર્થીઓને લઈ જવા પણ મહત્વનું છે. ભારતની આવનાર વર્ષોમાં કામ લાગે તેવા પ્રોબ્લેમ્સના સોલ્યુશનને શોધવા માટે કોલેજ લેવલથી જ વિદ્યાર્થીઓ તૈયાર થાય તે માટેનું કામ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની પણ ઘણી બધી ટીમ અલગ અલગ રાજ્યમાં ગઈ છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 12:11 pm

ધાંણધા રેલવે ફાટક સમારકામ માટે બંધ:મહેતાપુરા ચાર રસ્તે ટ્રાફિક જામ; બે દિવસ અવરજવર બંધ રહેશે

હિંમતનગર-ઇડર રોડ પર આવેલું ધાંણધા રેલવે ફાટક (ક્રોસિંગ નં-86/A) નવીનીકરણ અને સમારકામના કામને કારણે બંધ કરવામાં આવ્યું છે. ફાટક બંધ થતાં મહેતાપુરા ચાર રસ્તે સવારથી જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ રેલવે ફાટક 8 ડિસેમ્બર, સોમવારે સવારે 9 વાગ્યાથી બંધ કરવામાં આવ્યું છે. તે 9 ડિસેમ્બર, મંગળવારે રાત્રે 9 વાગ્યા સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન અવરજવર સંપૂર્ણપણે બંધ રહેશે. જિલ્લા કલેક્ટર દ્વારા વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ફાટક પર નવીનીકરણ અને સમારકામની કામગીરી ચાલી રહી છે. ફાટક બંધ થવાને કારણે હિંમતનગરના NG સર્કલથી મહેતાપુરા ચાર રસ્તા થઈને RTO તરફ જતા રોડ પર વાહનોની અવરજવર વધી ગઈ છે. જેના પરિણામે મહેતાપુરા ચાર રસ્તે વહેલી સવારથી જ ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. વૈકલ્પિક વ્યવસ્થા અંતર્ગત, હિંમતનગર તરફથી ઇડર કે ખેડબ્રહ્મા જતા વાહનોએ NG સર્કલથી હિંમતનગર RTO સર્કલ થઈને હિંમતનગર બાયપાસ રોડનો ઉપયોગ કરવાનો રહેશે. તેવી જ રીતે, ઇડર કે ખેડબ્રહ્મા તરફથી આવતા વાહનો વીરપુર-હિંમતનગર બાયપાસ રોડ થઈને RTO સર્કલથી સીધા મોતીપુરા સર્કલ તરફ જઈ શકશે અથવા RTO સર્કલથી મહેતાપુરા થઈને હિંમતનગર NG સર્કલ થઈને હિંમતનગર જવાના રોડનો ઉપયોગ કરી શકશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 12:06 pm

ચોટીલા નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને તાલુકાઓની બેઠક યોજાઈ:સંકલન, ફરિયાદ નિવારણ, ઈ-ધરા અને પુરવઠા મુદ્દે ચર્ચા થઈ

ચોટીલા: નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઈ-ધરા અમલીકરણ, પુરવઠા સલાહકાર સમિતિ અને એ.ટી.વી.ટી. અમલીકરણ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં ભાગ-1 ના એકથી નવ પત્રકોની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ભાગ-2 માં મેવાસા (સુ), સુખસર અને ધારૈઇ ગામે એસ.ટી. બસ સેવા શરૂ કરવા, મકાન સહાયના હપ્તા સમયસર મળે તે સુનિશ્ચિત કરવા અને સ્મશાન/ગામતળ નિયત કરવા અંગેની દરખાસ્તો મોકલવા જેવા પ્રશ્નો પર વિગતવાર ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન, નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ઈ-ધરા અમલીકરણ અને પુરવઠા સલાહકાર સમિતિ સંબંધિત મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી. તેમણે ઈ-ધરા કેન્દ્ર ખાતે દાખલ થતી હુકમી નોંધોનો 15 દિવસમાં નિકાલ કરવા પર ભાર મૂક્યો હતો. વધુમાં, વેચાણ, હયાતીમાં હક દાખલ, વારસાઈ, હક કમી વગેરે જેવી નોંધો 55 દિવસથી વધુ સમય સુધી પેન્ડિંગ ન રહે તેની તકેદારી રાખવા જણાવાયું હતું. રેકોર્ડ વર્ગીકરણ સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને 2012થી 2016 વચ્ચેની બાકી નોંધોનું સ્કેનિંગ અને ચકાસણી સત્વરે પૂર્ણ કરવા પણ સૂચના અપાઈ હતી. મામલતદારને સરકારની જોગવાઈઓ મુજબ ઈ-ધરા કેન્દ્ર ખાતે દાખલ થયેલ નોંધોની ચકાસણી કરી, રિવિઝન લેવાપાત્ર જણાય તો સત્વરે દરખાસ્ત મોકલવા જણાવ્યું હતું. અરજદારોને બિનજરૂરી હાલાકી ન ભોગવવી પડે તે માટે બિનજરૂરી નોંધો નામંજૂર ન થાય તેની તકેદારી રાખવા પણ તાકીદ કરવામાં આવી હતી. બેંક/મંડળી દ્વારા બોજા દાખલ કરતી વખતે સર્વે નંબરની ખોટી પસંદગીને કારણે નોંધો નામંજૂર થાય છે, જેનાથી અરજદારોને મુશ્કેલી પડે છે, ભવિષ્યમાં આવું ન બને તે માટે પણ સૂચનાઓ અપાઈ હતી. પુરવઠા શાખા સંબંધિત સૂચનાઓમાં, નિયત સમય મર્યાદામાં જથ્થાનું વિતરણ કરવા અને પુરવઠામાં ચાલતી ઈ-કેવાયસી (e-KYC) ની કામગીરી સત્વરે પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગોડાઉનથી દુકાનો સુધી જથ્થો નિયમ સમયમાં પહોંચી જાય તે માટે ગોડાઉન મેનેજરને પણ સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં ચોટીલા, થાનગઢ અને મૂળીના મામલતદાર, ચોટીલા અને થાનગઢના પોલીસ ઇન્સ્પેક્ટર, તાલુકા વિકાસ અધિકારી, નાયબ કાર્યપાલક ઇજનેર (પાણી પુરવઠા, પીજીવીસીએલ, ઝેટકો, માર્ગ અને મકાન - પંચાયત/સ્ટેટ, નર્મદા વિભાગ), તાલુકા હેલ્થ ઓફિસર, રેન્જ ફોરેસ્ટ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, ડેપો મેનેજર, ગોડાઉન મેનેજર, નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી., ઈ-ધરા, પુરવઠા) સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 12:00 pm

ગાંધીનગરના જાણીતા રાધે સ્વીટ્સની પાઉંમાં જીવાત!, VIDEO:ગ્રાહકે સ્ટોર પર ફરિયાદ કરતા વેપારીએ ભૂલ સ્વીકારી, મહાનગરપાલિકામાં જવાબદાર ફૂડ સેફ્ટી ઓફિસરની જગ્યા ખાલી

ગાંધીનગર શહેરમાં ખૂબ જ પ્રચલિત અને વિશ્વાસપાત્ર ગણાતી ફૂડ બ્રાન્ડ 'રાધે સ્વીટ્સ' ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કથિત રીતે સરગાસણ સ્થિત રાધે સ્વીટ્સના આઉટલેટમાંથી ખરીદેલા સીલબંધ બ્રેડના પાઉંના પેકેટમાં જીવંત જીવાત ફરતી જોવા મળી રહી છે. નવાઈની વાત એ છે કે આ પેકેટ એક્સપાયરી ડેટ વાળું પણ નહોતું. સીલબંધ પાઉંના પેકેટમાં જીવાત ફરતી જોવા મળીગાંધીનગર શહેરમાં ખૂબ જ પ્રચલિત અને વિશ્વાસપાત્ર ગણાતી ફૂડ બ્રાન્ડ 'રાધે સ્વીટ્સ' ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. એક વાયરલ વીડિયોમાં એક જાગૃત ગ્રાહક રાધે બ્રાન્ડના સીલબંધ પાઉંના પેકેટમાં જીવાત હોવાનું આઉટલેટના મેનેજરને બતાવી રહ્યો છે. પેકિંગની અંદર અને પાઉં પર સ્પષ્ટપણે જીવંત ઈયળો જોઈ શકાય છે. મેનેજર પણ આ હકીકતનો સ્વીકાર કરતા જોવા મળે છે. ગ્રાહકે આ ઘટના દ્વારા બ્રેડ બનાવતી કંપની અને વેપારીની ગંભીર બેદરકારી પર સવાલો ઉઠાવ્યા છે. રાધે સ્વીટ્સના શહેરમાં 20થી વધુ આઉટલેટ સૌથી મહત્વની વાત એ છે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સરકાર દ્વારા યોજાતી નાની-મોટી મિટિંગો અને કાર્યક્રમોમાં પણ ફૂડ પેકેટ્સ અને નાસ્તો મોટાભાગે રાધે સ્વીટ્સમાંથી જ મંગાવવામાં આવે છે. વર્ષે લાખોનો ધંધો કરતી આ બ્રાન્ડની ગુણવત્તામાં આવી ક્ષતિ સામે આવતા નગરજનોને મોટો આંચકો લાગ્યો છે. જીવાત મળ્યા બાદ પાઉંના તમામ પેકેટ રિપ્લેસ કરી દેવાયાઆ ગંભીર ઘટના અંગે રાધે સ્વીટ્સના ઓનર વિપુલભાઈએ ખુલાસો આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, કોઈ ગ્રાહકને આ પેકેટ મળ્યું હતું. અમારી સેક્ટર 26 સ્થિત ફેક્ટરી માં બ્રેડ સહિતની વસ્તુઓ સંપૂર્ણ પેકિંગ સાથે આઉટલેટ પર પહોંચે છે, પરંતુ શરત ચૂકથી પેકિંગમાં સહેજ જગ્યા રહી ગઈ હશે, જેના કારણે જીવાત અંદર ઘૂસી હશે. ગાંધીનગર મનપામાં ફૂટ સેફ્ટી ઓફિસરની જગ્યા ખાલીઆ ઘટનાની જાણ થતાં જ તમામ પાઉંના પેકેટ રિપ્લેસ કરી દેવાયા છે. જ્યારે સ્ટાફને પણ જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. બીજી તરફ રાજ્યના ફૂડ સેફ્ટી વિભાગના ડેઝિગ્નેટેડ અધિકારી ડો. પિયુષ પ્રજાપતિએ જણાવ્યું હતું ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અગાઉ બે અધિકારીઓ હતા પરંતુ હવે તેઓની બદલી થઈ ગઈ હોવાથી અમારી પાસે સ્ટાફની પણ અછત છે. વાયરલ વીડિયો બાબતે ફૂડ સેફટી વિભાગની વડી કચેરીએ જાણકારીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે આટલી ગંભીર ઘટના બની હોવા છતાં સૌથી મોટો સવાલ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યપ્રણાલી પર ઊભો થાય છે.કેમકે હાલના તબક્કે GMC પાસે કોઈ જવાબદાર 'ફૂડ સેફ્ટી અધિકારી' જ નથી. સરકાર દ્વારા અગાઉ નિમણૂક કરાયેલી જગ્યા પણ હાલ ખાલી પડી રહી છે. શહેરમાં ખાદ્ય ચીજોની ગુણવત્તા અને સલામતી પર દેખરેખ રાખવા માટે કોઈ ફૂડ સેફ્ટી અધિકારી જ હાજર ન હોવાથી, રાધે સ્વીટ્સ જેવી મોટી બ્રાન્ડ સામે ત્વરિત અને કાયદેસરની તપાસ ક્યારે થશે તે મોટો પ્રશ્ન છે. આ ઘટના બાદ ગ્રાહકો માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ મામલે કડક પગલાં લેવાય અને જવાબદાર અધિકારીની નિમણૂક કરવામાં આવે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 11:50 am

મોરબીમાં 2 વર્ષના બાળકનું ટ્રકની અડફેટે મોત:કુદરતી હાજતે બેઠેલા બાળક પર ટ્રકનો પાછળનો જોટો ફરી વળ્યો, ત્રિપલ અકસ્માતમાં બેના મોત; ઓડીચાલક સામે ગુનો દાખલ

મોરબી નજીક ભડીયાદ કાંટા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કુદરતી હાજતે બેઠેલા બે વર્ષના માસૂમ બાળક હાર્દિક કણસાગરાનું ટ્રકની અડફેટે મોત નીપજ્યું છે. ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક ટ્રક રિવર્સમાં લેતા બાળક તેના પાછળના પૈડા નીચે કચડાઈ ગયું હતું. આ ઘટના ગત 5 ડિસેમ્બરના રોજ સવારે 6:45 વાગ્યાના અરસામાં રામદેવપીર મંદિર સામે બની હતી. ટ્રકના પાછળના પૈડા નીચે આવી જતાં બાળકને કમરથી નીચેના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક મોરબી અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યું હતું. જોકે, સારવાર દરમિયાન હાર્દિક કણસાગરાનું કરુણ મોત થયું હતું. આ બનાવ અંગે મૃતક બાળકના દાદા ભુપતભાઈ મગનભાઈ કણસાગરા (ઉં.વ. 54) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટ્રક નંબર GJ 3 AT 2379 ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. ત્રિપલ અકસ્માતમાં બાઇક અને રિક્ષા ચાલકનું સારવાર દરમિયાન મોત મોરબીના કેનાલ રોડ પર થયેલા ત્રિપલ અકસ્માતમાં બાઇક અને રિક્ષા ચાલકનું સારવાર દરમિયાન મોત થયું છે. એક ઓડી કારના ચાલકે બંને વાહનોને ટક્કર મારી હતી. મૃતકના પત્નીની ફરિયાદના આધારે પોલીસે ઓડી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના 3 ડિસેમ્બરના રોજ સવારે 11 વાગ્યે મોરબીના કેનાલ રોડ પર બની હતી. એક ઓડી કારના ચાલકે બાઇક અને રિક્ષાને હડફેટે લેતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં મોરબીના આલાપ રોડ પર રહેતા 67 વર્ષીય મહાદેવભાઈ રણછોડભાઈ મારવાણીયાનું બાઇક (GJ 3 DQ 2321) ઓડી કારની ટક્કરથી ક્ષતિગ્રસ્ત થયું હતું. તેમને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ જ અકસ્માતમાં મોરબીના રવાપર રોડ પર દાઉદ શેરી નં-3 માં રહેતા 55 વર્ષીય કુરબાનભાઈ પીરભાઈ સુરાણી પણ ભોગ બન્યા હતા. તેમની રિક્ષા (GJ 36 W 0730) ને ઓડી કારે ટક્કર મારતા તેમને ગંભીર ઇજાઓ થઈ હતી. તેમને પણ સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેમનું પણ સારવાર દરમિયાન અવસાન થયું હતું. આ ત્રિપલ અકસ્માત અંગે મૃતક કુરબાનભાઈના પત્ની મેરૂબેન કુરબાનભાઈ સુરાણી (ઉંમર 40, રહે. રવાપર રોડ, દાઉદી પ્લોટ-3, મોરબી) એ ઓડી કાર (GJ 1 KZD 6827)ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 11:50 am

અમરેલી એરપોર્ટ પર ટ્રેનિંગ પ્લેન રનવે પરથી ઉતર્યું:એરપોર્ટ ઓથોરિટીએ વાત છૂપાવી પણ પ્રાંત અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરી, અગાઉ પણ બે ઘટનાઓ બની ચૂકી

અમરેલી એરપોર્ટ પર ફરી એક મોટી દુર્ઘટના ટળી છે. વહેલી સવારે ટ્રેનિંગ સેન્ટરનું એક પ્લેન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ ઘટનાને મીડિયા સુધી ન પહોંચે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. અગાઉ પણ આવી જ બે ઘટનાઓ બની ચૂકીઆ ટ્રેનિંગ સેન્ટર પર રનવે પરથી પ્લેન નીચે ઉતરવાની આ ત્રીજી ઘટના છે. અગાઉ પણ આવી જ બે ઘટનાઓ બની ચૂકી છે. એક ઘટનામાં તો ટ્રેનિંગ સેન્ટરના પાઇલટનું પ્લેન ક્રેશ થવાથી આગ લાગી હતી અને પાઇલટનું મૃત્યુ થયું હતું. આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન એરપોર્ટ પરની ગંભીર બેદરકારી સૂચવે છે. પ્રાંત અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરીઅમરેલીના પ્રાંત અધિકારી મહેશ નાકીયાએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એરપોર્ટ મેનેજરના કહેવા મુજબ, પ્લેન રનવે પર આવતા જ સ્લીપ ખાઈ ગયું હતું. તેમણે પણ કોઈ જાનહાનિ ન થઈ હોવાની અને અગાઉ પણ આવી એક ઘટના બની હોવાની વાત સ્વીકારી હતી. અગાઉ લોકોએ આંદોલન કર્યું હતુંશહેર ઉપરથી દિવસભર પ્લેન ઉડતા હોવાથી અમરેલી શહેરના લોકોએ અગાઉ પણ આંદોલન કર્યું હતું. ટ્રેનિંગ સેન્ટરના પ્લેન શહેર ઉપરથી નજીકથી ઉડતા હોવાથી નાગરિકોએ આવેદનપત્ર આપી ધરણા કર્યા હતા અને કલેક્ટરને પણ રજૂઆત કરી હતી. જોકે, આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને શહેર ઉપરથી પ્લેન ન ઉડાડવાની માંગણી યથાવત છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 11:46 am

ચેક રિટર્ન કેસમાં 6 મહિનાની સજા:જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ સોસાયટીના ડિફોલ્ટરને કોર્ટે સજા ફટકારી

જામનગરમાં સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના એક ડિફોલ્ટરને 6 માસની જેલની સજા અને રૂ. 14,502નો દંડ ફટકારવામાં આવ્યો છે. આરોપી નરેશ વાઘજીભાઈ વોરાને ચેક રિટર્ન કેસમાં તકસીરવાન ઠેરવી કોર્ટે આ આદેશ કર્યો હતો. નરેશ વાઘજીભાઈ વોરાએ સોસાયટી પાસેથી કન્ઝ્યુમર લોન લીધી હતી. આ લોન ભરપાઈ કરવા માટે તેમણે આપેલો ચેક બેંકમાં જમા કરાવતા રિટર્ન થયો હતો. ચેક રિટર્ન થયા બાદ સોસાયટીના વકીલ દ્વારા આરોપીને કાયદેસરની નોટિસ મોકલવામાં આવી હતી. તેમ છતાં લેણાંની રકમ ન ભરાતા, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ -138 હેઠળ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, ફરિયાદી પક્ષના પુરાવાઓ અને સોસાયટીના વકીલની દલીલોને ધ્યાનમાં લેવામાં આવી હતી. કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી 6 માસની જેલની સજા અને રૂ. 14,502નો દંડ ફટકાર્યો હતો. આરોપી કોર્ટ સમક્ષ ગેરહાજર હોવાથી તેની સામે વોરંટ ઇસ્યુ કરવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ મિતેષભાઈ એલ. પટેલ, મણીલાલ જી. કાલસરીયા, ગૌરાંગભાઈ જી. મુંજપરા, હરજીવનભાઈ એમ. ધામેલીયા અને જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 11:38 am

35 ગુજરાત બટાલિયન NCC દ્વારા સશસ્ત્ર દળ ધ્વજ દિવસની ઉજવણી:બનાસકાંઠામાં 213 કેડેટ્સે દેશપ્રેમનો સંદેશ આપ્યો

પાલનપુર સ્થિત 35 ગુજરાત બટાલિયન એન.સી.સી. દ્વારા સશસ્ત્ર દળ ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાની વિવિધ સંસ્થાઓમાં કુલ 213 એન.સી.સી. કેડેટ્સે આ ઉજવણીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમો દિયોદર, કૃષિનગર દાંતીવાડા અને વાવ ખાતે યોજાયા હતા. સશસ્ત્ર દળ ધ્વજ દિવસનો મુખ્ય હેતુ દેશના નાગરિકો દ્વારા સશસ્ત્ર દળો પ્રત્યે આદર અને સન્માન વ્યક્ત કરવાનો છે. આ ઉજવણી દરમિયાન, એન.સી.સી.ના વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને સશસ્ત્ર દળોના મહત્વ પર વક્તવ્ય આપ્યા હતા. બહાદુર સૈનિકો પ્રત્યે એકતા દર્શાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને નાગરિકોને દેશપ્રેમનો સંદેશ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 11:37 am

લંડનથી લગ્નમાં હાજરી આપવા આવ્યા હતા:NRI મહિલાના 18 તોલા સોનાના દાગીના અને 41 હજાર રૂપિયા રોકડ સાથેનું પર્સ ચોરાયું, વડોદરાની ઘડિયાળી પોળમાં ખરીદી માટે ગયા ને પર્સની ચોરી થઈ

મૂળ મહારાષ્ટ્રના અને હાલ લંડનમાં વસવાટ કરતી NRI મહિલા મહિલા વડોદરાની ઘડિયાળી પોળમાં ખરીદી માટે ગયા ત્યારે, તેમનું કલરનું પર્સ ચોરાઈ ગયું છે. આ પર્સમાં આશરે 17-18 તોલા સોનાના દાગીના, 41,000 રૂપિયાની રોકડ અને એક ડેબિટ કાર્ડ હતું. જેની કુલ કિંમત 7.56 લાખ રૂપિયા જેટલી થાય છે. વાડી પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. 62 વર્ષીય મહિલા સુનંદા માલુસરેએ વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે સુનંદા માલુસરે તેમની નાની પુત્રી જાગૃતિની નણંદ પ્રતિક્ષાના લગ્નમાં હાજરી આપવા માટે 2 ડિસેમ્બરના રોજ મુંબઈથી વડોદરા આવ્યા હતા. તેઓ દંતેશ્વર વિસ્તારમાં આવેલી હોટેલમાં રોકાયા હતા. 5 ડિસેમ્બરના રોજ તેઓ ગોર્વધન હોલમાં લગ્ન સમારોહમાં હાજર રહ્યા હતા. 6 ડિસેમ્બરના રોજ બપોરે આશરે 1.30 વાગ્યે સુનંદા તેમની મોટી પુત્રી ત્રિવેણી, જમાઈ મંગેશ અને બહેનપણી ભાગ્ય પવાર સાથે ઘડીયાળી પોળમાં ખરીદી કરવા ગયા હતા. આશરે 1.45 વાગ્યે તેઓ અંબા માતાની ગલીમાં આવેલી જયશ્રી સિલ્ક સાડીની દુકાનમાં પહોંચ્યા હતા અને ત્યાં સાડીઓની ખરીદી કરી હતી. આશરે 2.45 વાગ્યે તેઓ દુકાનમાંથી બહાર આવ્યા અને અલગ-અલગ જગ્યાએ ખરીદી કરીને સાંજે આશરે 6.30 વાગ્યે હોટેલ પર પરત ફર્યા હતા. રાત્રે આશરે 10 વાગ્યે સામાન પેક કરતી વખતે સુનંદાએ જોયું તો તેમનું મરૂન કલરનું પર્સ ગુમ થયું હતું. આ પર્સમાં સોનાનું મંગળસૂત્ર, સોનાનો નેકલેસ, એક જોડી સોનાના કાનના ઝુમ્કા અને આશરે 41,000 રૂપિયાની રોકડ હતી. આ ઉપરાંત એક્સિસ બેંકનું ડેબિટ કાર્ડ પણ હતું. તેઓએ છેલ્લે જયશ્રી સિલ્ક સાડીની દુકાનમાં પેમેન્ટ કરવા માટે કાળા પર્સમાંથી મરૂન પર્સ કાઢ્યું હતું અને ત્યાર બાદ તેને પરત મૂક્યું હતું. તેઓને શંકા છે કે, અજાણ્યા ચોરે ત્યાંથી પર્સ ચોરી લીધું છે. તેઓએ હોટેલના રૂમમાં અને અન્ય જગ્યાઓ પર તપાસ કરી હતી, પરંતુ પર્સ મળ્યું નહોતું. જેથી સુનંદા તેમના સંબંધી અને પુત્રી સાથે વાડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ચોરીની ફરિયાદ નોંધાવી હતી. વાડી પોલીસે અજાણ્યા ચોરની શોધખોળ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 11:32 am

નવસારી-સુરત હાઇવે પર ક્રેટા ભડકે બળી:કારમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ, કાર બળીને ખાખ થઈ ગઇ

નવસારીથી સુરત તરફ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 48 પર પરથાણ ગામ નજીક ગત મોડી રાત્રે એક ક્રેટા કારમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં કારમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો, જોકે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, કારના ચાલકને પાછળથી આવતી અન્ય એક કારના ડ્રાઇવરે ધૂમાડો દેખાતા તાત્કાલિક જાણ કરી હતી. સમયસૂચકતા વાપરીને કાર ચાલક અને તેમાં સવાર અન્ય બે વ્યક્તિઓ સમયસર કારમાંથી બહાર નીકળી ગયા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. આગની જાણ થતાં જ નવસારી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. જોકે, ફાયર વિભાગ પહોંચે ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થયો છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 11:30 am

ધ્રોળમાં વિદ્યાર્થીઓ માટે શનિના વલયોનું નિદર્શન:એમ.ડી. મહેતા સાયન્સ સેન્ટરે 10 ઇંચ ટેલિસ્કોપથી કાર્યક્રમ યોજ્યો

ધ્રોલના એમ.ડી. મહેતા સાયન્સ સેન્ટર અને જામનગરના ખગોળ મંડળ દ્વારા ધોરણ 10 અને 11ના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શનિ ગ્રહના વલયો અને તેના ચંદ્ર ટિટાનનું 10 ઇંચના ટેલિસ્કોપ દ્વારા અવલોકન કરાવવામાં આવ્યું હતું. શનિ ગ્રહ તેની કક્ષામાં નમતો રહીને સૂર્યની પ્રદક્ષિણા કરતો હોવાથી તેના વલયો હંમેશા એકસરખા દેખાતા નથી. ક્યારેક તે પાતળી રેખા સ્વરૂપે અને ક્યારેક વિસ્તૃત સપાટી સ્વરૂપે દેખાય છે. શનિના આ વલયોનું અવધિ ચક્ર 14.5 વર્ષનું હોય છે. એમ.ડી. મહેતા સાયન્સ સેન્ટરના ડો. સંજય પંડ્યાએ નવા 10 ઇંચના ટેલિસ્કોપ વિશે માહિતી આપી હતી. તેમણે ભવિષ્યમાં સૂર્ય કલંકો અને દેવયાની તારાવિશ્વના અવલોકન અંગે પણ જાણકારી પૂરી પાડી હતી. જામનગરના ખગોળ મંડળના કિરીટભાઈ શાહ દ્વારા વિદ્યાર્થીઓને શનિના વલયો, ચંદ્ર ટિટાન, આકાશમાં દેખાતા તારાઓ અને નક્ષત્રો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમણે ખગોળશાસ્ત્રને લગતા વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા. હાલમાં શનિના વલયો અદ્રશ્ય થઈને માત્ર એક સરળ રેખા સ્વરૂપે જોવા મળે છે. આવા સ્વરૂપમાં તે હવે પછી 14.5 વર્ષો બાદ ફરીથી જોવા મળશે. આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં એમ.પી. મહેતા સુધાબેન ખંઢેરીયાનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 11:28 am

પારડીની BN ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગમાં 5.52 કરોડનું નુકસાન:મશીનરી, શેડ, કાચો અને તૈયાર માલ બળીને ખાખ થઇ ગયો, શનિવારે વહેલી સવારે લાગેલી આગ બપોર બાદ કાબૂમાં આવી હતી

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ખાતે આવેલી બી.એન. ઇન્ડસ્ટ્રીઝ યુનિટ–2માં શનિવારે આગ લાગી હતી. પ્રાથમિક અંદાજ મુજબ, આ ઘટનામાં કંપનીને આશરે 5.52 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સદભાગ્યે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના 6 ડિસેમ્બર, 2025ના રોજ સવારે લગભગ 6:50 વાગ્યે બની હતી. કંપનીના સુપરવાઈઝર અજય પટેલે મેનેજર શ્રીકાંત ફુલ્યાળકરને ફોન દ્વારા આગની જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ વાપી GIDC, વાપી ટાઉન, પારડી, અતુલ અને વલસાડ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. થોડી જ વારમાં પાંચથી વધુ ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગને કારણે કંપનીમાં રહેલી મશીનરી, શેડ, કાચો માલ અને તૈયાર માલ બળીને ખાખ થઈ ગયો હતો. આ નુકસાનનું પ્રાથમિક મૂલ્યાંકન 5 કરોડ 52 લાખ રૂપિયા જેટલું કરવામાં આવ્યું છે. પોલીસ, મામલતદાર કચેરી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 11:26 am

પાટણ-સિદ્ધપુર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત:ટર્બોએ ટક્કર મારતા બાઇક સવાર બે યુવકો ઘાયલ, સારવાર અર્થે ધારપુર હોસ્પિટલમાં ખસેડાયા

પાટણ શહેરના સિદ્ધપુર ચાર રસ્તા નજીક આવેલા રિલાયન્સ પેટ્રોલ પમ્પ પાસે આજે સવારે ટર્બો વાહન અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક પર સવાર બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટર્બો વાહન રિવર્સ લઈ રહ્યું હતું ત્યારે પાછળથી આવતું બાઈક ટર્બોમાં ઘૂસી ગયું હતું. આ ટક્કરના કારણે બાઈક પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા. એક વ્યક્તિના હાથ અને પગ પર ટર્બોનું ટાયર ફરી વળતાં તેને ગંભીર ઈજા થઈ હતી, જ્યારે અન્ય વ્યક્તિને પણ શરીરના વિવિધ ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના બનતા જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. 108 ઇમરજન્સી સેવાને જાણ કરાતા, એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ધારપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના પગલે સિદ્ધપુર ચાર રસ્તા પર થોડા સમય માટે વાહનોની અવરજવર ખોરવાઈ હતી અને લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસે અકસ્માતની જાણ મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 11:22 am

ભરૂચ રેલવે પોલીસે 8.59 લાખનો મુદ્દામાલ પરત કર્યો:‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ મુળ માલિકોને માલ-સામાન સોંપાયો

ભરૂચ રેલવે પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ ચોરી, લૂંટ અને ધાડના ગુનાઓમાં જપ્ત કરાયેલો રૂ. 8.59 લાખનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત કર્યો છે. આ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરત કરાયેલા મુદ્દામાલમાં ટ્રેનોમાં મુસાફરી દરમિયાન ચોરાયેલા 17 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે, જેની કિંમત આશરે રૂ. 3.90 લાખ છે. આ ઉપરાંત રૂ. 5.50 લાખના ઘરેણાં અને અન્ય સામાન પણ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. રાજ્યના પોલીસ વિભાગ દ્વારા ગુમ થયેલો મુદ્દામાલ નાગરિકોને સરળતાથી પરત મળે તે હેતુથી ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ભરૂચ રેલવે પોલીસ સ્ટાફે સક્રિય કામગીરી કરી મુદ્દામાલ શોધી કાઢ્યો હતો. આ કાર્યક્રમ પશ્ચિમ રેલવે સુરત વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.એચ. ગોર અને પીએસઆઈ સુરેન્દ્ર રાણાની અધ્યક્ષતામાં યોજાયો હતો. મુદ્દામાલ પરત મેળવનાર નાગરિકોએ પોલીસ વિભાગની કામગીરીની સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 11:19 am

રાજકોટ અટલ સરોવરનાં ચકડોળમાં મોટી દુર્ઘટના ટળી:ચકડોળનાં ઓપરેટરની બેદરકારીથી પરિવાર 40 મિનિટ સુધી 100 ફૂટની ઊંચાઈએ ફસાયો, ઓપરેટર સસ્પેન્ડ

રાજકોટના અટલ સરોવર ખાતે બનેલી એક ગંભીર ઘટનામાં, ચકડોળ (ફેરિસ વ્હીલ) ચલાવતા ઓપરેટરની ઘોર બેદરકારીને કારણે એક પરિવારનો જીવ જોખમમાં મુકાયો હતો. ગઈકાલે રાત્રિના આશરે 10:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેમાં ચકડોળમાં સવાર 4 લોકોનો એક પરિવાર 100 ફૂટની ઊંચાઈએ અધવચ્ચે અટકી ગયો હતો. આ ઘટના બાદ આસપાસના લોકોમાં અને વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ભોગ બનનાર વ્યક્તિએ વિડીયો વાયરલ કરી વ્યથા વર્ણવી છે. જેને લઈને ઓપરેટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ચકડોળ ચાલુ કરીને ઓપરેટર ગાયબ! વીડિયોમાં ભોગ બનનાર વ્યક્તિના જણાવ્યા અનુસાર, તેઓ તેમના પરિવાર જેમાં તેમની પત્ની, સાસુ અને એક નાનો બાળક સહિત કુલ 4 લોકો સાથે ચકડોળમાં સવાર થયા હતા. ચકડોળ તેમને લગભગ 100 ફૂટ જેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચાડ્યા બાદ ઓપરેટરે વીલ બંધ કરી દીધું હતું અને પોતે ત્યાંથી જતો રહ્યો હતો. ભોગ બનનાર વ્યક્તિના કહેવા મુજબ, ઓપરેટરે બાદમાં સ્વીકાર્યું હતું કે તે તેમને ઉપર ચડાવ્યા પછી બંધ કરીને ભૂલી ગયો હતો. ચકડોળમાં સવાર પરિવારે શરૂઆતમાં 10 મિનિટ સુધી રાહ જોઈ કે નીચેથી કોઈક આવશે અથવા રાઈડ ફરી શરૂ થશે, પરંતુ અડધો કલાક વીતી ગયો અને 40 મિનિટ સુધી કોઈ હલચલ ન થતાં પરિવારે બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું હતું. રાત્રિનો સમય અને ઊંચાઈને કારણે તેમની બૂમો નીચે ઉભેલા સિક્યુરિટી ગાર્ડ વોચમેનને સંભળાઈ નહોતી. પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ નીચે ઉભેલી અન્ય વ્યક્તિએ આ બૂમો સાંભળી હતી અને વોચમેનને ધ્યાન દોર્યું હતું. જોકે, વોચમેને એવો બેજવાબદાર જવાબ આપ્યો હતો કે ચકડોળમાં કોઈ ક્રૂ મેમ્બર મેન્ટેનન્સ કે સમારકામ કરી રહ્યો હશે. આ જવાબ સાંભળીને પરિવારની ચિંતા વધુ વધી હતી. ઓપરેટરની બેદરકારી અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતા જોતાં આખરે ભોગ બનનાર વ્યક્તિએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ તુરંત રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરીને આ ફસાયેલા 4 લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા. જોકે, આ દરમિયાન 40 મિનિટ સુધી 100 ફૂટની ઊંચાઈએ લટકતા રહેવાથી પરિવારના સભ્યો, ખાસ કરીને નાનું બાળક, ખૂબ જ ડરી ગયા હતા. બેદરકારી બદલ તાત્કાલિક પગલાં આ સમગ્ર ઘટનામાં ઓપરેટરની બેદરકારી સ્પષ્ટપણે સામે આવી છે. ભોગ બનનાર પરિવારે જણાવ્યું કે તેમના કારણે ફાયર બ્રિગેડની સેવાઓનો દુરુપયોગ થયો, જે મેનેજમેન્ટની ગંભીર ભૂલ દર્શાવે છે. ઓપરેટરની આ લાપરવાહીથી ચકડોળમાં સવાર લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. સમગ્ર મામલે ઓપરેટરને તો તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. જોકે રાઈડ્સનું સંચાલન કરતા કોન્ટ્રાક્ટર સામે વહીવટી તંત્ર દ્વારા ક્યારે અને શું પગલાં લેવામાં આવે છે. તે આવનારો સમય જ બતાવશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 11:13 am

સિગારેટ ન આપતા યુવકની છરી મારી હત્યા:સરખેજમાં સાથળમાં છરી મારતા ઈજાગ્રસ્ત યુવકનું હોસ્પિટલમાં મોત

અમદાવાદના સરખેજમાં સામાન્ય બાબતમાં યુવકની હત્યાનો બનાવ બન્યો છે. ગઈકાલે(7 ડિસેમ્બર) રાત્રે જાવેદ નામનો યુવક એક હોટલ પાસે બેઠો હતો ત્યારે સાજીદ નામના યુવકે તેની પાસે સિગારેટ માંગી હતી. સિગારેટ આપવાની ના પાડતા સાજીદે સાથળના ભાગે છરી મારી દેતા જાવેદને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું મોત થયું હતું. આ અંગે સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સિગારેટ ના આપતા છરી વડે હુમલોસરખેજમાં રહેતો જાવેદ મહીડા નામનો 32 વર્ષીય યુવક રિક્ષા ચલાવે છે. જાવેદ ગઈકાલે રાત્રે રિક્ષા લઈને ફતેવાડી પાસે આવેલી સવેરા હોટલ પાસે બેઠો હતો. જાવેદ પાસે સાજીદ નામનો શખસ આવ્યો હતો જેને જાવેદ પાસે સિગારેટ માંગી હતી, પરંતુ જાવેદે આપી નહોતી. બાદમાં સાજીદે છરી બતાવતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી વધુ ઉગ્ર થતા સાજીદે છરી વડે જાવેદ પર હુમલો કરી દીધો હતો. જાવેદને તેની જ રિક્ષામાં બેસાડીને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયોસાજીદે જાવેદના સાથળના ભાગે છરી મારી દીધી હતી જેથી જાવેદે બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. ત્યાં ઉભેલા હનીફે બંનેને છોડાવ્યા હતા. જાવેદે તેના બનેવીને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. જાવેદના બનેવી સ્થળ પર પહોચતા જાવેદ લોહીલુહાણ હાલતમાં હતો. જાવેદને તેની જ રિક્ષામાં બેસાડીને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. રસ્તામાં જાવેદ સાજીદના નામનું જ રટણ કરી રહ્યો હતો. જાવેદનું સારવાર દરમિયાન મોત થયું હતું. હત્યા બાદ સાજીદ ફરારબનાવની જાણ થતાં સરખેજ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે જાવેદના મોત મામલે સાજીદ વિરુદ્ધ હત્યાનો ગુનો નોધી તપાસ શરૂ કરી છે. હત્યા બાદ સાજીદ ફરાર થઈ ગયો છે. સાજીદ વિરુદ્ધ અગાઉ મારામારી, હુમલો સહિતના કેટલાક ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસ સાજીદની શોધખોળ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 10:34 am

પાંડેસરામાં લૂમ્સ કારીગરોનો વિરોધ:મજૂરીના ભાવવધારાની માગ સાથે કારખાનાઓમાં જઈને સ્વિચ ઓફ કરીને હંગામો મચાવ્યો, 50થી વધુ કારીગરો CCTVમાં કેદ

સુરતના પાંડેસરા વિસ્તારમાં કાપડ ઉદ્યોગમાં મજૂરીના ભાવવધારાની માંગણીને લઈને લૂમ્સ કારીગરો દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કારીગરોએ પ્રતિ મીટરે 5થી 10 પૈસાનો વધારો કરવાની માગ સાથે 5થી 7 જેટલા લૂમ્સ કારખાનાઓને બાનમાં લીધા હતા અને કારખાનાઓમાં જઈને ઇલેક્ટ્રિક સ્વિચ ઓફ કરીને હંગામો મચાવ્યો હતો. વિરોધમાં 50થી વધુ કારીગરો જોડાયામળતી માહિતી મુજબ, આ વિરોધમાં લગભગ 50થી વધુ કારીગરો જોડાયા હતા. કાપડના ભાવવધારાની માંગણી સાથે મચાવેલો સમગ્ર હોબાળો કારખાનાઓમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગયો હતો. પોલીસે CCTV ફૂટેજના આધારે હંગામો મચાવનાર કારીગરોને શોધવાનું શરૂ કર્યુંબનાવની જાણ થતાં જ પાંડેસરા પોલીસ તુરંત સ્થળ પર દોડી આવી હતી. પોલીસે હવે CCTV ફૂટેજના આધારે હંગામો મચાવનાર કારીગરોને શોધી કાઢવા માટે સઘન તપાસ શરૂ કરી છે. બીજી તરફ, વીવર્સ એસોસિયેશનની રજૂઆત બાદ પોલીસે વિસ્તારમાં સુરક્ષાના ભાગરૂપે પેટ્રોલિંગ પણ શરૂ કર્યું છે, જેથી અન્ય કારખાનાઓ રાબેતા મુજબ ફરીથી શરૂ થઈ શકે અને કામગીરી સામાન્ય બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ, પોલીસની તપાસ શરૂકારીગરો દ્વારા કરવામાં આવેલો આ તમામ હંગામો સંબંધિત કારખાનાઓમાં લાગેલા CCTV ફૂટેજમાં સંપૂર્ણપણે કેદ થવા પામ્યો છે. ફૂટેજમાં દેખાતા કારીગરોની સંખ્યા અને તેમની આક્રમક પ્રવૃત્તિઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યા બાદ, કારખાના માલિકો અને વીવર્સ એસોસિયેશન સાથે બેઠક યોજી હતી. પોલીસે હવે CCTV ફૂટેજની મદદથી હંગામો કરનાર મુખ્ય કારીગરોને ઓળખી કાઢવા તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 9:58 am

ક્લોરિન ગેસ ભરેલી બોટલ લીકેજ:સોલા ભાગવત નજીક લોકોને આંખ-ગળામાં બળતરા થતાં ફાયરે 14 કલાકે કાબૂ કર્યો; 6 ફાયરકર્મીને અસર, 2ને હોસ્પિટલમાં ખસેડાયા

અમદાવાદના એસજી હાઇવે પર આવેલા સોલા ભાગવત વિદ્યાપીઠ નજીક માધવ ઔડા ગાર્ડનના ખુલ્લા પ્લોટમાં ક્લોરિન ગેસની બોટલમાંથી લીકેજ થવાના કારણે આસપાસમાં ગેસ ફેલાઈ ગયો હતો. લોકોને શ્વાસ લેવામાં અને આંખ તેમજ ગળામાં બળતરા થવા લાગી હતી. જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી ગેસને ઓછો કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં કુલ 6 જેટલા ફાયરકર્મીને અસર થઈ હતી. બે ફાયરકર્મીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ક્લોરિન ગેસ લિકેજ 14 કલાકે બંધ થયો હતો અને લોકોને રાહત મળી હતી. ગેસ બોટલ લીકેજથી લોકોને આંખ-ગળામાં બળતરા થતી હતીફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ 7 ડિસેમ્બરના રોજ સાંજે 5:40 વાગ્યે ફાયરબ્રિગેડ કંટ્રોલરૂમમાં મેસેજ મળ્યો હતો કે સોલા ભાગવત વિદ્યાપીઠ નજીક ખુલ્લા પ્લોટમાં એક ગેસના બોટલમાંથી લીકેજ થાય છે અને લોકોને આંખોમાં તેમજ ગળામાં બળતરા થઈ રહી છે. જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક અલગ અલગ સાધનો સાથે ઘટનાસ્થળ પર પહોંચી હતી. ક્લોરિન ગેસની બોટલ ફેંકી હતી જેથી ગેસ લીકેજ થતો હતોમાધવ ઔડા ગાર્ડનના ખુલ્લા પ્લોટમાં કોઈ અજાણી વ્યક્તિએ ક્લોરિન ગેસની બોટલ નાખી દીધી હતી જેમાંથી ગેસ સતત લીકેજ થઈ રહ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ સૌપ્રથમ આ ગેસના લીકેજને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તે બંધ થઈ શકે તેવી સ્થિતિ નહોતી. જેથી ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવ્યો હતો. બે ફાયર જવાનોને ક્લોરિન ગેસની અસર થઈક્લોરિન ગેસ સતત બહાર આવી હવામાં ફેલાઈ રહ્યો હતો જેથી ફાયરના જવાનો તેના પર પાણી છાંટી રહ્યા હતા. ત્યારે બે ફાયર જવાનોને ક્લોરિન ગેસની અસર થઈ હતી. જેથી તેઓને ત્યાંથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયરની બેથી વધુ ટીમો સતત પાણીનો મારો ચલાવી રહી હતી. જોકે ક્લોરિન ગેસ એટલો વિશાળ માત્રામાં બહાર આવી રહ્યો હતો કે ફાયરના જવાનોને પણ તકલીફ પડી રહી હતી, છતાં પણ ફાયરના જવાનોએ કામગીરી ચાલુ રાખી હતી. હવામાં ગેસ ઓછો ફેલાય અને લોકોને ઓછી તકલીફ પડે તેના માટે આ કામગીરી કરાઈ હતી. બોટલ જ્યાં સુધી ખાલી ન થઈ ત્યાં સુધી સતત પાણીનો મારો ચલાવ્યોફાયર વિભાગની ટીમે વહેલી સવારે 7:40 વાગ્યા સુધી ક્લોરિન ગેસની બોટલ જ્યાં સુધી ખાલી ન થઈ ત્યાં સુધી સતત પાણીનો મારો ચલાવ્યો હતો. પાણીનો મારો ચલાવી ગેસને સંપૂર્ણપણે કાબુમાં લઈ લેવામાં આવ્યો હતો. જોકે આ ઘટનામાં ગેસ આજુબાજુમાં ફેલાઈ ગયો હતો જેના કારણે કેટલાક લોકોને પણ અસર થઈ હતી. આ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાનમાં બીજા ચાર જેટલા ફાયર જવાનોને પણ ગેસની અસર થઈ હતી, જેમાં આંખોમાં અને ગળામાં બળતરા થઈ હતી જેથી તેમને ત્યાંથી દૂર કરી દેવામાં આવ્યા હતા. 10 કલાકની ભારે જહેમત બાદ સંપૂર્ણપણે કાબુ આવી ગયો હતો. જોકે આ ક્લોરિન ગેસની ભરેલી બોટલ કોણ આ રીતે ફેંકી ગયું અને તેમાંથી કેવી રીતે ગેસ લીકેજ થયો તેને લઈને સોલા પોલીસને પણ જાણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 9:28 am

ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 26 ફ્લાઈટ કેન્સલ:અમદાવાદથી 18, રાજકોટથી 4, સુરતથી 3 અને વડોદરાથી 1 ફ્લાઈટ ઉડાન નહિ ભરે; રેલવે દ્વારા મુસાફરો માટે વિશેષ ટ્રેન

પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની કટોકટીનો આજે છઠ્ઠો દિવસ છે. 8 ડિસેમ્બરને સોમવારે ગુજરાતમાં ઈન્ડિગોની 26 ફ્લાઈટ કેન્સલ થઈ છે. રાત્રિના 12થી સવારના 9 વાગ્યા સુધીમાં અમદાવાદની 18, રાજકોટની 4, સુરતની 3 અને વડોદરાની 1 ફ્લાઈટ રદ થવાની માહિતી મળી રહી છે. મુસાફરોને પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને રેલવે દ્વારા મોટા શહેરો જેમ કે, મુંબઈ, દિલ્હી, પુણે, હાવડા, હૈદરાબાદ સહિતમાં વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદ એરપોર્ટ પર ટ્રેનનું બુકિંગ કરવા માટે RCTCનું કાઉન્ટર પણ ખોલવામાં આવ્યુ છે. રાજકોટથી ઉડાન ભરતી આઠમાંથી ચાર ફ્લાઈટ રદરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ડિગો એર લાઇન્સની આજની રાજકોટથી મુંબઈ, ગોવા, હૈદરાબાદ, બેંગ્લોરની ફ્લાઈટ રદ થતા મુસાફરોમાં ભારે રોષ છે. શુક્રવારે રાજકોટ એરપોર્ટ પરથી ઈન્ડિગોની તમામ 8 ફ્લાઈટ રદ થઈ હતી. શનિવારે 8માંથી એક ફ્લાઈટ રદ થઈ હતી. રવિવારે 9માંથી 5 ફ્લાઈટ કેન્સલ થઈ હતી તો આજે 8 ડિસેમ્બરના 8માંથી 4 ફ્લાઇટ રદ થતા મુસાફરોનો ગુસ્સો સાતમા આસમાને છે. સ્ટાફની અછતના કારણે ફ્લાઈટ કેન્સલઈન્ડિગો એર લાઇન્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, 8 ડિસેમ્બરની રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ગોવાની 12.05 વાગ્યાની અને બેંગ્લોરની 16.15 વાગ્યાની ફ્લાઈટ રદ જાહેર થઈ છે. જ્યારે રાજકોટથી હૈદરાબાદની 15.55 વાગ્યાની તો મુંબઈની 16.55ની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. ઓપરેશનલ રિઝનના કારણે મુશ્કેલી ઉભી થઈ છે, જેમાં પાયલોટની સીક લિવ અને સ્ટાફની અછત કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઈન્ડિગોની અન્ય ચાર ફ્લાઈટ શરૂઆ સિવાય આજે 8 ડિસેમ્બરના ઈન્ડિગોની રાજકોટથી મુંબઈની 9 વાગ્યાની, દિલ્હીની 17.55 વાગ્યાની અને મુંબઈની 19.55 વાગ્યાની ફ્લાઈટ ઉડાન ભરશે. એર ઇન્ડિયાની સવારની 8.35 વાગ્યાની મુંબઈ, 18.05 વાગ્યાની મુંબઈ અને 20.08 વાગ્યાની દિલ્હીની ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. સુરતમાં 3 ફ્લાઈટ કેન્સલ, 5 દિવસ બાદ હૈદરાબાદ-દિલ્હીની ફ્લાઇટ લેન્ડિંગઆજની સુરતથી ઉપડતી કોલકાતાની, સુરતથી હૈદરાબાદ અને સુરતથી દિલ્હીની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. જ્યારે આજે સવારથી ઇન્ડિગોની ફ્લાઈટ સુરત એરપોર્ટ ખાતે આવવાની શરૂ થઈ છે. પાંચ દિવસ બાદ સવારથી હૈદરાબાદ અને દિલ્હીથી ફ્લાઇટનું સુરત એરપોર્ટ ખાતે લેન્ડિંગ થયું છે. વડોદરામાં મુંબઈની ફ્લાઈટ રદ વડોદરામાં ઇન્ડિગોની મુંબઈ-વડોદરા-મુંબઈની ફ્લાઈટ કેન્સલ થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ફ્લાઈટો કેન્સલ થતાં મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. ખાસ કામ અને પ્રસંગે જતાં લોકોને છેલ્લી ઘડીએ રઝળવાનો વારો આવે છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 9:28 am

અમરેલીમાં રાજ્યમંત્રીએ વૃદ્ધ માટે કાફલો રોક્યો:કમીગઢના 80 વર્ષના હરજીબાપા સાથે મુલાકાત કરી

અમરેલી: રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ અમરેલી તાલુકાના કમીગઢ ગામમાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત બાદ પરત ફરતી વખતે પોતાનો કાફલો રોક્યો હતો. તેમણે ગામના 80 વર્ષીય વૃદ્ધ હરજીબાપા ફીણવિયા સાથે મુલાકાત કરી હતી. મંત્રીનો કાફલો ગામના પાદરમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક મોટરસાઇકલ ચાલકે હાથ ઊંચો કર્યો હતો. આ જોઈને રાજ્યમંત્રીએ પોતાનો કાફલો થંભાવી દીધો હતો. આ સમયે, મંત્રીના પરિચિત અને ગામના વૃદ્ધ હરજીબાપા ત્યાં ઉપસ્થિત હતા. હરજીબાપા અને રાજ્યમંત્રી કૌશિક વેકરીયા એકબીજાને અગાઉથી ઓળખે છે. બંનેએ આત્મીયતાપૂર્વક વાતચીત કરી અને જૂની યાદો તાજી કરી હતી. વયોવૃદ્ધ હરજીબાપાએ રાજ્યમંત્રીને અમરેલીની જનસુખાકારી માટે સતત કાર્ય કરતા રહેવા બદલ અંતરના આશીર્વાદ પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 9:23 am

પાટણમાં ઠંડીની જમાવટ:લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું, એક સપ્તાહમાં ઠંડીનો પારો 2 ડિગ્રી ગગડ્યો

પાટણમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનું જોર વધ્યું છે. સોમવારે વહેલી સવારે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઠંડા પવનોના કારણે લોકો વધુ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. એક સપ્તાહ દરમિયાન લઘુત્તમ તાપમાનનો પારો 2 ડિગ્રી નીચે સરક્યો છે. ગત સોમવારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી હતું, જે ઘટીને 14 ડિગ્રી પર પહોંચ્યું છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું. શહેરી વિસ્તારોમાં લોકો ઠંડીથી બચવા માટે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો ઠંડીથી રક્ષણ મેળવવા તાપણાનો સહારો લઈ રહ્યા છે. વધતી ઠંડીના કારણે જનજીવન પર અસર પડી રહી છે. વહેલી સવારે વોકિંગ માટે નીકળતા લોકો સ્વેટર, મફલર જેવા ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 8:58 am

સુરેન્દ્રનગરમાં ઇ-મેમો દંડ ન ભરનારાઓ માટે લોક અદાલત:13 ડિસેમ્બર 2025ના રોજ આયોજન કરાયું, 2552 નોટિસ ઇશ્યુ કરાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં ઇ-મેમોનો દંડ ન ભરનારા વાહનચાલકો માટે 13 ડિસેમ્બર 2025ના રોજ પ્રી-લિટિગેશન લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઇસ્યુ કરાયેલા ઇ-ચલણનો દંડ ભરપાઈ ન કરનારા વાહનચાલકો વિરુદ્ધ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નેત્રમ દ્વારા ઇસ્યુ કરાયેલા ઇ-મેમો પૈકી, જે વાહનચાલકોએ આજદિન સુધી દંડ ભર્યો નથી, તેવા 2552 વાહનચાલકોને સુરેન્દ્રનગર તાલુકા કાનૂની સેવા સમિતિ અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ વાહન માલિકના સરનામા પર અને SMS દ્વારા મોકલવામાં આવી છે. જે વાહનચાલકોના ઇ-મેમો દંડ ભરવાના બાકી છે, તેમને 13 ડિસેમ્બર 2025 સુધીમાં ઇ-ચલણનો બાકી દંડ ભરપાઈ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. સમયસર દંડ ભરવાથી કોર્ટમાં કોઈ કેસ દાખલ થશે નહીં. ટ્રાફિક નિયમ ભંગ બદલ મળેલા ઇ-મેમોનો દંડ રોકડમાં (ઓફલાઇન) ભરવા માટે નેત્રમ, પોલીસ અધિક્ષકની કચેરી, જવાહર ગ્રાઉન્ડ સામે, સુરેન્દ્રનગર અથવા જિલ્લાના કોઈપણ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે. ઓનલાઇન દંડ ભરવા માટે https://echallan.parivahan.gov.in વેબસાઇટનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત, Google Pay, PhonePe અને SBI YONO જેવી એપ્લિકેશન્સ દ્વારા પણ દંડ ભરપાઈ કરી શકાય છે. વાહનચાલકોને ચેતવણી આપવામાં આવી છે કે ઉપર દર્શાવેલ લિંક સિવાય અન્ય કોઈ પણ માધ્યમ કે લિંક દ્વારા ઇ-મેમો ભરપાઈ ન કરે, અન્યથા તેઓ સાયબર ફ્રોડનો શિકાર બની શકે છે. સુરેન્દ્રનગર તાલુકા કાનૂની સેવા સમિતિ અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ દ્વારા ઇસ્યુ કરાયેલી 2552 કોર્ટ નોટિસ નીચે જણાવેલ ટ્રાફિક ભંગના કેસો માટે છે: ચાલુ વાહનમાં મોબાઇલ ફોનનો ઉપયોગ: 759 કેસ, ઓવર સ્પીડથી વાહન ચલાવવું: 478 કેસ, કારમાં બ્લેક ફિલ્મ: 202 કેસ, હેલ્મેટ વગર વાહન ચલાવવું (ટુ વ્હીલર): 34 કેસ, સેફ્ટી બેલ્ટનો ઉપયોગ ન કરવો (ટુ-થ્રી વ્હીલર સિવાય): 406 કેસ, ફેન્સી નંબર પ્લેટ રાખવી: 145 કેસ, ડ્રાઇવર સીટ પર પેસેન્જર બેસાડવા: 57 કેસ, મો.સા પર ત્રણ સવારી: 439 કેસ, પાર્કિંગ નિયમ ભંગ: 7 કેસ, પી.યુ.સી., ડ્રા.લાયસન્સ, વીમા પોલીસી વગેરે ન હોવું: 16 કેસ, ફુટ બોર્ડ પર બેસી મુસાફરી કરવી: 9 કેસ. ઇ-ચલણ બાબતે કોઈ પ્રશ્ન હોય તો ફોન નંબર 02752-283100 અથવા ઇ-મેઇલ ccc-srn@gujarat.gov.in પર સંપર્ક કરી શકાય છે. આ માહિતી પોલીસ અધિક્ષક, સુરેન્દ્રનગર દ્વારા જારી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 8:57 am

ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા ગેરકાયદેસર કોલસાના કૂવાનું બુરાણ:મુળીના ભેટ ગામમાં ત્રીજા દિવસે 17 કૂવા પુરાયા, કામગીરી ચાલુ

ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા મુળી તાલુકાના ભેટ ગામમાં ગેરકાયદેસર કોલસાના કૂવાઓનું બુરાણ કાર્ય ચાલી રહ્યું છે. આજે આ કામગીરીનો ત્રીજો દિવસ છે, જેમાં અત્યાર સુધીમાં 17 ગેરકાયદેસર કૂવાઓ પુરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી 3 ડિસેમ્બર, 2025ના રોજ શરૂ થઈ હતી. તે દિવસે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ચોટીલા સબ ડિવિઝન હેઠળના મુળી તાલુકાના ભેટ ગામમાં સરકારી સર્વે નંબર 35 વાળી જમીન પર દરોડો પાડી ગેરકાયદેસર કોલસાના કૂવાઓ (ખાડાઓ) જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલા આ તમામ ગેરકાયદેસર કોલસાના કૂવાઓનું બુરાણ 5 ડિસેમ્બર, 2025ના રોજ વહેલી સવારથી શરૂ કરવામાં આવ્યું હતું. બે લોડર મશીનની મદદથી આ કામગીરી ચાલી રહી છે. હજુ પણ બાકી રહેલા કૂવાઓનું બુરાણ કાર્ય ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 8:55 am

વાપીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:બાંસવાડા ગેંગનો આરોપી રાજસ્થાનમાંથી ઝડપાયો, 10 દુકાનોની ચોરીનો ભાંડો ફૂટ્યો

વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) વાપીમાં પાંચ મહિના અગાઉ થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. રાજસ્થાનની બાંસવાડા ગેંગના એક આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીનું નામ રોહિત દયાલાલ વસુનિયા (ઉં.વ. 20, રહે. ભવરકોટ, કુશલગઢ, બાંસવાડા) છે. તેને ચોરીના મુદ્દામાલ, એક મોબાઈલ ફોન સાથે રાજસ્થાનમાંથી પકડવામાં આવ્યો છે. આ ચોરી 02 જુલાઈ, 2025ની રાત્રે વાપી ચાર રસ્તા નજીક આવેલા સાંઈ કોમ્પ્લેક્સમાં થઈ હતી. અજાણ્યા ચોરોએ 10 દુકાનોના શટર તોડી રોકડ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 19,000નો મુદ્દામાલ ચોરી કર્યો હતો. આ અંગે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં IPC 2023 કલમ 305(સી), 331(4), 324(4) હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS) અને વલસાડ પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS)ના માર્ગદર્શન હેઠળ, પો.ઈન્સ. ઉત્સવ બારોટના નિર્દેશ મુજબ LCB ટીમોએ CCTV ફૂટેજ અને ટેકનિકલ વિશ્લેષણ દ્વારા તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે LCB વલસાડના સ્ટાફે આરોપી રોહિત વસુનિયાને રાજસ્થાનથી કાયદેસરની કાર્યવાહી સાથે કસ્ટડીમાં લીધો. પૂછપરછ દરમિયાન, આરોપીએ તેના સાગરીત મસુલ હરસિંગ વસુનિયા (રહે. ભવરકોટ, બાંસવાડા) સાથે મળીને પાંચ મહિના પહેલા દુકાનોના શટર તોડી ચોરી કર્યાની કબૂલાત કરી છે. મસુલ હરસિંગ વસુનિયા હાલ વોન્ટેડ છે અને તેની શોધખોળ ચાલી રહી છે. વાપી ટાઉન પોલીસે આરોપીના સોમવાર સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 8:54 am

ગામ ગામની વાત:અભલોડ ગામતળમાં પ્રગતિની ગતિ સાથે ગ્રંથાલયનું સ્વપ્ન‎

આજની તારીખે જ્યારે શહેરો પોતાની સુવિધાઓ માટે જાણીતા છે ત્યારે અભલોડ ગામતળ 4015ની વસ્તી સાથે પ્રગતિ અને સંસ્કૃતિનો અનોખો સમન્વય રજૂ કરે છે. 68%ના પ્રભાવશાળી સાક્ષરતા દર સાથે આ ગામ માત્ર વસવાટનું સ્થળ નથી પરંતુ વિકાસના માર્ગે અગ્રેસર એક જીવંત સમુદાય છે. ગામના મધ્યમાં સદીઓ જૂનું પુરાતન પ્રસિદ્ધ કાળનું મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ ગામની પૌરાણિક ઓળખ અને ધરોહર છે, જે ગ્રામજનોને તેમની સંસ્કૃતિ સાથે જોડી રાખે છે. શિક્ષણ ક્ષેત્રે અભલોડ ગામતળ ઘણું સજ્જ છે. બાળકોના ભવિષ્યને ઘડવા માટે અહીં બે હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળા આવેલી છે, જે તમામ જરૂરી સુવિધાઓથી સજ્જ છે અને વિદ્યાર્થીઓ માટે રમત-ગમતની પ્રવૃત્તિઓ માટે વિશાળ મેદાન પણ ધરાવે છે. આ શૈક્ષણિક માળખું ગામના ઉચ્ચ સાક્ષરતા દરનું મુખ્ય કારણ છે. સરકારી યોજનાઓ અને ગ્રામ પંચાયતના સક્રિય પ્રયાસોને કારણે અહીં આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ગ્રામજનોને નાણાકીય વ્યવહારોમાં સરળતા રહે તે માટે બેંકની સુવિધા ઉપલબ્ધ છે. જાહેર સ્વચ્છતા અને આરોગ્ય જાળવવા માટે સુવ્યવસ્થિત ગટર વ્યવસ્થા કાર્યરત છે. સલામતી અને સુગમતા માટે રાત્રી દરમિયાન આખું ગામ સ્ટ્રીટ લાઈટથી ઝગમગે છે. સૌથી મહત્ત્વપૂર્ણ, ભારત સરકારની મહત્ત્વકાંક્ષી નલ સે જલ યોજના અંતર્ગત અહીં પ્રત્યેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવ્યું છે. અભલોડ ગામતળ જ્યાં મહાદેવ મંદિર પરંપરાને જીવંત રાખે છે અને આધુનિક સુવિધાઓ પ્રગતિની ખાતરી આપે છે. તે હવે જ્ઞાનના ભંડાર એટલે કે લાઈબ્રેરીના સ્વપ્નને સાકાર કરવા તરફ નજર માંડી રહ્યું છે. ગ્રામજનોને આશા છે કે આ સ્વપ્ન ટૂંક સમયમાં પૂરું થશે અને ગામની વિકાસગાથામાં વધુ એક ગૌરવશાળી પ્રકરણ જોડાશે. છાત્રોને વાંચન માટે લાઇબ્રેરીની જરૂરિયાત ગામમાં ગ્રંથાલય (લાઈબ્રેરી)ની સુવિધાનો અભાવ. 68% સાક્ષરતા દર ધરાવતું ગામ, જ્યાં જ્ઞાનની તરસ છે.અહી વિદ્યાર્થીઓ અને યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા અને નિયમિત વાંચન માટે એક જગ્યાની તાતી જરૂરિયાત છે. ગ્રંથાલયની સ્થાપના અભલોડ ગામતળને શિક્ષણ અને જ્ઞાનના ક્ષેત્રે એક નવા શિખરે પહોંચાડશે. મેશાબેન કેહજી ભાભોર, સરપંચ

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:22 am

મંડે પોઝિટીવ:અલ્હાદપુરામાં 25 એકરમાં દૈનિક 36,000 યુનિટ વીજળી ઉત્પન્ન કરતો બરોડો ડેરીનો સોલાર પાર્ક

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં અલ્હાદપુરા ગામે બરોડા ડેરીનું શીત કેન્દ્ર આવેલું છે. અહીંયા આવેલા આ વિશાળ પ્લાન્ટ ઉપર વીજળી ખર્ચ ઘણું જ વધારે આવતું હતું. જેથી 40 કરોડના ખર્ચે સોલાર પાર્ક બનાવવામાં આવ્યો હતો. જેના પગલે આગામી 25 વર્ષ સુધીમાં 200થી 250 કરોડ રૂપિયા બચી શકશે. આ બચતથી ડેરીના પશુપાલકોને ફાયદો થવા સાથે આગામી વર્ષો સુધી વીજ બિલ નહિ ભરવું પડે. 25 એકરમાં 9 મેગાવોટનો સોલાર પ્લાન્ટ ઉભો કરાયો છે. એક મેગાવોટથી સરેરાશ 4000 યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે. અત્યારે દર મહિને 2 કરોડ રૂપિયા વીજળી પાછળનો ખર્ચ થાય છે. પણ સોલારને કારણે અંદાજે વર્ષે 10થી 11 કરોડ રૂપિયાનો ફાયદો થાય છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:19 am

દારૂની હેરાફેરી ઝડપાઈ:ઉદાલમહુડાના જંગલમાં રાત્રે 3 બાઇક અને દારૂ મૂકી ભાગતો કિશોર ઝબ્બે, ત્રણ ફરાર

ઉદાલમહુડાના જંગલમાં રાત્રે ત્રણ બાઇકો ઉપર દારૂનો જથ્થો લઇને આવતાં પોલીસની વોચ જોઇ મુદ્દામાલ ફેંકી ભાગવા જતાં કિશોર ઝડપાઇ ગયો હતો. 2,63,760 રૂા.ની દારૂ બિયરની મળી કુલ 1056 નાની મોટી બોટલો, મોબાઇલ અને 3 મોટર સાયકલ મળી 2,78,760 રૂા.નો મુદ્દામાલ જપ્ત કરી ચાર સામે પોલીસે કાર્યવાહી કરી હતી. ધાનપુર પીઆઇ જીજે ગામીત તથા સ્ટાફ ગતરોજ કંજેટા વિસ્તારમાં પેટ્રોલિંગ તેમજ દારૂની વોચમાં હતા. તે દરમિયાન ઉદાલમહુડા જંગલના રસ્તેથી ત્રણ બાઇક ઉપર દારૂના લગડા બનાવી નીચે આવી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ઉદાલમહુડા ગામે તળાવની બાજુમાં વોચ ગોઠવી હતી. તે દરમિયાન જંગલમાંથી પગદંડી રસ્તા ઉપર 3 બાઇકો પર પાછળના ભાગે કાંઇક ભરી લઇને આવતાં જણાતા તેઓને બેટરીની લાઇટ મારી રોકવાનો સંકેત કરતાં પોલીસને આળખી જતાં ત્રણે બાઇક ના ચાલકો વાહનો મુકી જંગલમાં ભાગવા લાગ્યા હતા. પોલીસે પીછો કરતા અલીરાજપુરના ગોળા આંબાવાંટના કિશોરને ઝડપી પાડ્યો હતો. જ્યારે બીજા ત્રણ ભાગી ગયા હતા. લગડામાં તપાસ કરતાં કુલ રૂા. 2,63,760ની દારૂ બિયરની મળી કુલ 1056 બોટલો મળી આવી હતી. ઝડપાયેલા કિશોરને ભાગી જનાર વિશે પુછપરછ કરતાં તેઓના નામ જીતેન કનેશ, રાજુ કનેશ તથા કીલીયા કનેશ રહે. ગોળાઆંબાવાંટના જણાવ્યું હતું. જથ્થો, 5000 રૂા.નો મોબાઇલ તથા હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ જીજે-147-સીએચ-2237 તથા જીજે-34-કે-7211 અને એક નંબર વગરની મોટર સાયકલ મળી કુલ 2,78,760 રૂા.નો મુદ્દામાલ જપ્ત કરી 4 લોકો સામે ધાનપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:16 am

નવા બાયપાસની કામગીરી સત્વરે શરૂ કરવાની માગ‎:કાલોલના બોરૂ ટર્નિંગ પાસે ટેન્કર રોડ વચ્ચે ખોટકાતા જનરક્ષક વાન ટ્રાફિકમાં અટવાઈ

કાલોલ બોરૂ ટર્નિંગ પાસે મહાકાય ટેન્કર રોડ વચ્ચે ખોટકાય જતા ટ્રાફિક જામ થયો. બન્ને બાજુ વાહનોની લાંબી લાઈનોની કતારો લાગી હતી. જેમાં પોલીસની જનરક્ષક વાન ટ્રાફિકમાં અટવાઈ ગઈ હતી. ત્યારે નવીન મંજુર થયેલ બાયપાસની કામગીરી શરૂ કરવામાં આવેની માંગ ઉઠી. કાલોલ બોરૂ ટર્નિંગ પાસે અવારનવાર ટ્રાફિક જામના કારણે રાહદારીઓ તેમજ પાવાગઢ દર્શન કરવા જતાં ભક્તોનો કિંમતી સમય વેડફાતો હતો. જેનું નિરાકરણ લાવવા માટે પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ તેમજ સ્થાનિક રહીશો દ્વારા કલેક્ટરને આવેદન આપી નવા કટની માંગણી કરવામાં આવતા સ્થળની મુલાકાત લઇ રોડ ઓથોરિટીના અધીકારીને ટ્રાફિકની સમસ્યાઓ દૂર કરવા નવો કટ બનાવવા આદેશ આપ્યો હતો. ત્યાર બાદ નવો કટ મૂકી જાહેર માર્ગ ખુલ્લો મુક્યો હતો. જેના કારણે કેટલીક ટ્રાફિકની આંશીક સમસ્યાઓ દૂર થઈ હતી. ત્યારે રવિવારે ઇનોક્સ કંપની તરફ જતું એક મહાકાય ટેન્કર રોડની વચ્ચે ખોટકાતા બંને તરફનો ટ્રાફિક પ્રભાવિત થયો હતો. વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જે ટ્રાફિક જામમાં પોલીસની જનરક્ષક વાન પણ અટવાઈ ગઈ હતી. ત્યારે કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડથી જતા જોવા મળ્યા હતા. જેના કારણે વધુ ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ હતી. કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડ જવાના કારણે કાલોલ બોરૂ ટર્નિંગ પાસે ટ્રાફિક જામ થયો. કાલોલમાં વારંવાર સર્જાતી ટ્રાફીક જામની સમસ્યામાંથી લોકોને છુટકારો અપાવવા તંત્ર દ્વારા નવો બાયપાસ મંજુર કરવામાં આવ્યો છે. જેનું ખાતમુર્હુત પણ થઇ ગયુ છે. ત્યારે તેની કામગીરી તાત્કાલીક શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:14 am

26.52 લાખ વસ્તીનું કરાશે સ્ક્રીનિંગ‎:દાહોદ જિલ્લામાં 8 થી 27 ડિસે. સુધી રક્તપિત્ત શોધ ઝુંબેશ

દાહોદ જિલ્લામાં 8 ડિસેમ્બરે શરૂ થતી અને 27 ડિસેમ્બર સુધી ચાલનારી લેપ્રસી કેસ ડિટેક્શન ઝુંબેશ માટે આરોગ્ય વિભાગે મોટા પાયે તૈયારી પૂર્ણ કરી છે. જિલ્લાના કુલ 26.52 લાખની વસ્તીને આવરી લેવા માટે 2,272 ટીમો ઘરે-ઘરે જઈ રક્તપિત્ત (લેપ્રસી) અંગે સમજ આપશે અને તમામ લોકોનું સ્ક્રીનિંગ કરશે. ઝુંબેશ દરમિયાન દરેક ગામ અને વિસ્તારમાં માઇક દ્વારા પ્રચાર પણ કરવામાં આવશે જેથી લોકોમાં જાગરૂકતા વધે. આશાવર્કર અને હેલ્થવર્કરોની ટીમો ઘર મુલાકાત દરમિયાન રક્તપિત્તના લક્ષણો સમજી આવશે. ચામડી પર આછું ઝાંખું અથવા રતાશ પડતું ડાઘ, સંવેદના વિહોણી જગ્યા અથવા ચાઠું જેવા નિશાન દેખાય તો તે રક્તપિત્તના લક્ષણો હોઈ શકે છે. આવા શંકાસ્પદ દર્દીઓ મળી આવશે તો તેમને તાત્કાલિક તબીબી તપાસ માટે મોકલવામાં આવશે અને જરૂરી હોય તો એમડીટી સારવાર શરૂ કરવામાં આવશે. આરોગ્ય વિભાગે અપીલ કરી છે કે, તમારા ઘરે આવતી આશાબહેન અને હેલ્થ વર્કરને સાચી માહિતી આપો, પરિવારના સ્વાસ્થ્ય માટે આગળ આવો અને રક્તપિત્તમુક્ત દાહોદ બનાવવા સહભાગી બનો.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:13 am

સન્માન:ઉ. પ્ર. સ્ટેટ એવોર્ડથી કિન્નરી વિરલભાઈ દેસાઈ સન્માનિત

વિશ્વ અપંગતા દિવસ નિમિત્તે અપંગતા ક્ષેત્રે ઉત્તમ સેવાઓ બદલ અંધજન મંડળના ડેપ્યુટી ડાયરેક્ટર તેમજ મૂળ દાહોદ જિલ્લાના શ્રી દશાનીમા વણિક સમાજના જ્ઞાતિજન કિન્નરી વિરલભાઈ દેસાઈ (બેન્કર)ને ઉત્તર પ્રદેશ સરકાર તરફથી સ્ટેટ એવોર્ડથી નવાજ્યા હતા. આ એવોર્ડ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીના હસ્તે અર્પણ કરાયો હતો. આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર કિન્નરી દેસાઈ ઉત્તર પ્રદેશ સરકાર તરફથી એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી છે. કિન્નરી દેસાઈ લાંબા સમયથી વારાણસીમાં બ્લાઈન્ડ પીપલ્સ એસો. દ્વારા દ્રષ્ટિબંધ અને વંચિત વર્ગ માટે નોંધપાત્ર સેવાઓ આપે છે. તેમણે લગભગ 400 મહિલાને સિલાઈ કૌશલ્યની તાલીમ આપી છે. આ સાથે દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટે ડિજિટલ લાઈબ્રેરીની સ્થાપના કરી છે. રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડથી સન્માનિત કિન્નરી દેસાઈને ઉત્તર પ્રદેશના ઉત્તમ ગૌરવ પુરસ્કાર મેળવ્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:12 am

વેધર રિપોર્ટ:પંચમહાલમાં તાપમાન 14 ડિગ્રીએ પહોંચતા ઠંડીનો ચમકારો વધ્યો

પંચમહાલ જિલ્લામાં શિયાળાનો પ્રારંભ થયા બાદ લોકોને ઠંડીનો અહેસાસ થતો ન હતો. ત્યારે ડીસેમ્બરના પ્રારંભમાં ઉત્તર દિશાના ઠંડા પવનોને ફુકાવાને કારણે છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં અને વાતાવરણમાં શીતલહેર ફરી વળતા ઠંડીનો ચમકારો એકા એક વધી ગયો છે. જેથી દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ હોવા છતાં, સૂકા અને ઠંડા પવનોને લીધે ગરમીનો અહેસાસ થતો નથી. જેના કારણે ગોધરા સહિત હાલોલ, કાલોલ, શહેરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવાર અને મોડી સાંજે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ખાનગી હવામાન વિભાગની સાઇટ પર ગોધરાનું લઘુત્તમ તાપમાન 14 ડીગ્રીની આસપાસ નોંધાયું છે. તાપમાનમાં અચાનક થયેલા ઘટાડાથી જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે. ઠંડીના આ ચમકારાને ધ્યાનમાં રાખીને, આરોગ્ય વિભાગ દ્વારા નાના બાળકો, વૃદ્ધોને ઠંડીથી બચવા માટે વિશેષ કાળજી લેવાની અને ગરમ પ્રવાહીનું સેવન વધારવાની સલાહ આપી છે. વર્તમાન ઠંડીનો માહોલ આગામી દિવસોમાં પણ જળવાવાની શક્યતા ખાનગી હવામાનની સાઇટ પર જોવા મળેલ મુજબ ઉત્તર તરફથી ફૂંકાતા સૂકા અને ઠંડા પવનોથી લઘુત્તમ તાપમાન નીચું જળવાશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:11 am

તોડફોડ કરતો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ‎:ગોધરામાં ઇમેજીંગના સંચાલકે રવિવારે સરકારી દીવાલ તોડી

ગોધરાના પોલીસ ચોકી નં 8 સામે આવેલ તત્ત્વમ્ ઈમેજીંગ સેન્ટરના સંચાલકે રવિવારની રજાના દિવસનો લાભ લઈ સરકારી કચેરીની દિવાલ તોડી નાંખી અને ત્યાં ઇમેજિંગ મશીન મુકવાની કામગીરી હાથ ધરી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિક સૂત્રો મુજબ, સંચાલકે કોઈપણ પ્રકારની સરકારી પરવાનગી લીધા વગર જ ગોધરા આર એન્ડ બી પંચાયત વિભાગની પેટા વિભાગની કચેરીની દિવાલ તોડીને જગ્યા બનાવી હતી. સરકારી કચેરીની અંદર આવી રીતે ઘુસણખોરી કરી દિવાલ તોડવાનું કામ થતા સરકારી સંપત્તિને નુકસાન પહોંચ્યું હોવા અંગે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. વિડિયો વાયરલ થયા બાદ સ્થાનિક રહેવાસીઓ તથા સમાજ દ્વારા ઈમેજિંગ સેન્ટરના સંચાલકો પર મનમાની અને કાયદા ભંગના આક્ષેપો થયા છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:10 am

હિંસક શ્વાનોને પકડવા તંત્રની ગંભીર બેદરકારી:ગોધરા તાલુકામાં એક દિવસમાં શ્વાનોનો 25 લોકો પર હુમલો

ગોધરા શહેર અને ગ્રામ્યમાં રખડતા શ્વાનોનો ત્રાસ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. એક જ દિવસમાં 25થી વધુ લોકોને કરડવાન કેસ નોંધાતા સ્થાનિકો માટે ભયનો માહોલ સર્જાયો છે. અને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગોધરા શહેરમાં એક જ દિવસમાં 25થી વધુ લોકોને રખડતા શ્વાને કરડવાના કેસ નોંધાયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલમાં ખસેડ્યા હતા. ધામરોદ ગામે ચેતના માલીવાડ નામની નાની બાળકી પર રખડતા શ્વાને અચાનક ઝપાટો બોલાવતાં તેની ગળાની આસપાસ ગંભીર ઈજા પહોંચી હતી. બીજી એક ઘટનામાં 5 વર્ષના માસૂમ બાળક પર પણ રખડતા શ્વાને હુમલો કર્યો હતો. જેમાં તેને પણ ગળાના ભાગે ગંભીર ઈજા થઈ છે. બંને બાળકોને તાત્કાલિક ગોધરા સિવિલ ખસેડ્યા છે. શહેરમાં રખડતા શ્વાનોની સંખ્યા બેફામ વધી રહી છે. શહેરીજનોમાં ગભરાટ ફેલાયો છે અને લોકો ઘરની બહાર નીકળતા પણ ડર અનુભવી રહ્યા છે. નગરપાલિકા દ્વારા શ્વાનોને પકડવા અને તેમની નસબંધી કરેની માંગ ઉઠી છે. તીવ્ર ભૂખ રખડતા કૂતરાને વધુ આક્રમક બનાવે છે રખડતા કૂતરા ચોક્કસ વિસ્તારને પોતાનો માને છે. જ્યારે કોઈ અજાણી વ્યક્તિ જેમા ખાસ કરીને બાળકો, નવા રાહદારીઓ કે વાહનચાલકો વિસ્તારમાં અચાનક આવે છે. ત્યારે કૂતરા આક્રમણ કે ધમકી માનીને હુમલો કરે છે. આ તેમનો વિસ્તાર બચાવવાનો સહજ સ્વભાવ છે. શહેરોમાં ખોરાકના સ્ત્રોત મર્યાદિત હોય છે. જેથી તીવ્ર ભૂખ રખડતા કૂતરાઓને વધુ ચીડિયા અને આક્રમક બનાવે છે. માદા કૂતરી તેના નવજાત ગલુડિયાઓ પ્રત્યે અત્યંત રક્ષણાત્મક હોય છે. જો કોઈ બાળક કે વ્યક્તિ અજાણતા ગલુડિયાઓની નજીક જાય તો તેને ખતરો માનીને તુરંત હુમલો કરે છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:07 am

ગાંધીનગરના મહાત્મા મંદિર જેવું રાજકોટમાં કન્વેન્શન સેન્ટર બનશે:અટલ સરોવર પાસે 45 હજાર વાર જગ્યાની ફાળવણી, સૌરાષ્ટ્ર-કચ્છના અઢી લાખ ઉદ્યોગકારોને લાભ મળશે

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો દ્વારા કન્વેનશન સેન્ટર માટે સરકાર પાસે વર્ષોથી માંગણી કરવામાં આવી રહી હતી જેને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં પણ ખાસ રૂ.50 કરોડ જેટલી રકમ આ કન્વેનશન સેન્ટર માટે ફાળવવામાં આવી છે.ત્યારે રાજકોટના સ્માર્ટ સીટી વિસ્તાર એટલે કે સેકન્ડ રિંગ રોડ પર અટલ સરોવર પાસે કન્વેનશન સેન્ટર બનાવવા માટે તંત્ર દ્વારા 45 હજાર વારથી વધુ જગ્યાની ફાળવણી કરી દેવામાં આવી છે અને ડિઝાઇન તૈયાર કરી આગામી ત્રણ વર્ષની અંદર આધુનિક કન્વેનશન સેન્ટર બનાવવા કવાયત શરૂ કરી દેવામાં આવી છે. આ કન્વેનશન સેન્ટર બનવાથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના 2.50 લાખથી વધુ ઉદ્યોગકારોને આનો સીધો ફાયદો થશે અને તેમણે પોતાના બિઝનેશ પ્રોડક્ટના એક્ઝિબિશન માટે અમદાવાદ, મુંબઈ કે દિલ્લી નહિ પરંતુ રાજકોટમાં ઘરઆંગણે જ સુવિધા મળી રહેશે જેથી સૌરાષ્ટ્રનો વિકાસ પણ સારી રીતે આગળ વધી શકશે. સૌરાષ્ટ્રના ઉદ્યોગોને એક્ઝિબિશન માટે ઘરઆંગણે સુવિધા ઉભી થશેરાજકોટ શહેરએ ઓટોમોબાઈલ, એન્જીનીયરીંગ અને ઇમિટેશન માર્કેટ માટે દેશભરમાં જાણીતું શહેર છે. આ ઉપરાંત રાજકોટની બાજુમાં મોરબી એ સીરામીક હબ માનવામાં આવે છે જયારે જામનગર એ બ્રાસ પાર્ટ ઉદ્યોગનું હબ માનવામાં આવે છે આ બધા ઉદ્યોગોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે એક્ઝિબિશન માટે ગાંધીનગર મહાત્મા મંદિર, મુંબઈ કે દિલ્લી જેવા શહેરો તરફ ન જવું પડે તે માટે સૌરાષ્ટ્ર ભરના 2.50 લાખથી વધુ ઉદ્યોગકારોને ફાયદો થાય તે માટે સરકાર દ્વારા રાજકોટની અંદર ગાંધીનગર કરતા પણ મોટું અને વિશાળ કન્વેનશન સેન્ટર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે પ્રથમ તબક્કામાં જગ્યાની ફાળવણી કરી દેવામાં આવ છે બાદમાં તબક્કાવાર એક બાદ એક એજન્સી નક્કી કરી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી આવતા ત્રણ વર્ષની અંદર આધુનિક કન્વેનશન સેન્ટર રાજકોટમાં બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્રણ વર્ષમાં કન્વેન્શન સેન્ટરનું કામ પૂર્ણ કરી દેવાશે- જયમીન ઠાકરરાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, રાજકોટ મનપા દ્વારા દિવાળી પૂર્વે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં કન્વેનશન સેન્ટરના કન્સલ્ટન્ટ નિમણુંક માટે દરખાસ્ત આવી હતી જેને મંજૂરી આપી દેવામાં આવી છે. રાજકોટના ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખી ઉદ્યોગકારોની માંગણીને સ્વીકારી રાજ્ય સરકારની સૂચનાથી સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો માટે રાજકોટમાં કન્વેનશન સેન્ટર બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારની મંજૂરી બાદ હવે મનપા દ્વારા અટલ સરોવર પાસ સ્માર્ટ સીટી વિસ્તારમાં 45000 વારથી વધુ જગ્યા ફાળવણી કરી દેવામાં આવી છે જ્યાં આધુનિક કન્વેનશન સેન્ટર બનાવવા નિર્ણય કરાયો છે. કન્સલ્ટન્ટની નિમણુંક કરી બાદમાં અલગ અલગ ડિઝાઇન મેળવી એક સારામા સારી ડિઝાઇન નક્કી કરી લગભગ ત્રણ વર્ષમાં કન્વેનશન સેન્ટર તૈયાર કરી દેવામાં આવશે. તેમને વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો પોતાના બિઝનેશના પ્રમોશન માટે ગાંધીનગર, દિલ્લી, મુંબઈ, તેમજ જાપાન, રશિયા અને ચીન સહિતના દેશોમાં જતા હતા જો કે હવે આ ઉદ્યોગકારોએ પોતાના બિઝનેસ પ્રમોશન માટે દૂર નહિ જવું પડે અને ઘર આંગણે રાજકોટમાં કન્વેનશન સેન્ટર ખાતે જ એક્ઝિબિશન યોજી શકશે અને દેશ વિદેશના અન્ય ઉદ્યોગકારો તેમાં ભાગ લઇ શકશે અને પોતાની વસ્તુઓનું વધુ સારી રીતે ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરી શકશે. આનાથી માત્ર ઔદ્યોગિક જ નહિ પરંતુ રાજકોટ અને સૌરાષ્ટ્રનો સર્વાંગી વિકાસ પણ બધું મજબૂત બનશે માટે ત્રણ વર્ષની અંદર કન્વેનશન સેન્ટર બનાવી દેવાનો અમારો લક્ષ્યાંક છે. 2022માં જ્યારે DPR બનાવાયો ત્યારે 538 કરોડના ખર્ચનો અંદાજ હતોરાજકોટ મનપા દ્વારા રૈયા સ્માર્ટ સિટી (અટલ સરોવર) વિસ્તરમાં 45000 વારથી વધુ જમીન ફાળવણી કરી કન્વેનશન સેન્ટર બનાવવા જાહેરાત કરી છે આ માટે વર્ષ 2022માં પ્રોજેક્ટનો ડીપીઆર તૈયાર કરાયો ત્યારે 538 કરોડ રૂપિયાનો ખર્ચ નિર્ધાર કરવામાં આવ્યો હતો જે પૈકી મનપા દ્વારા જે 25% રકમ આ પ્રોજેક્ટ પાછળ આપવાની થાય છે તે જમીન આપવાના બદલામાં વાળી લેવામાં આવશે. સરકાર દ્વારા 25 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જેના થકી પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટ કમ ટ્રાન્ઝેક્શન એડવાઈઝર તેમજ પીએમસીની નિમણૂક કરવામાં આવશે. આ પછી કન્વેનશન સેન્ટરના બાંધકામ માટેનું ટેન્ડર તૈયાર કરી એજન્સી ફાઈનલ કરવામાં આવશે. 4 જાન્યુઆરી, 2025ના રોજ મુખ્યમંત્રીએ કન્વેન્શન સેન્ટર માટે જાહેરાત કરી હતીગત તારીખ 4 જાન્યુઆરી 2025ના રોજ રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી રાજકોટને કન્વેનશન સેન્ટર ફાળવવા માટે જાહેરાત કરવામાં આવી હતી. આ સમયે તેમને જણાવ્યું હતું કે કલેકટર, કમિશનર, ધારાસભ્યશ્રીઓ સહીત તમામ લોકો ઉપસ્થિત છે બધાની હાજરીમાં મંજૂરી આપી દઈએ છીએ અને હવે જેટલી ઝડપથી જગ્યા શોધી આપશો એટલી જલ્દી કન્વેનશન સેન્ટર બનાવવાની સરકારની તૈયારી છે. આ સાથે તેમને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોના વખાણ કરતા કહ્યું હતું કે, વર્લ્ડ ક્લાસ ફેસેલિટી સૌરાષ્ટ્રમાં છે અને સૌરાષ્ટ્રના લોકો તો પથ્થરને પણ પાટુ મારી પૈસા કમાવવાની તાકાત ધરાવે તેવા સાહસિક લોકો છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય લેવલનું કન્વેન્શન સેન્ટર બનવાથી રાજકોટની આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે તેની સાથેસાથે રોકાણકારોને આકર્ષિત પણ કરશે જેનાથકી રોજગારીની નવી તકોનું સર્જન થશે તેવું ચોક્કસ કહી શકાય. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા રાજકોટની વૈશ્વિક સ્તરે ઓળખ વધુ મજબૂત બનશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે રાજકોટનું ઓટોમોબાઇલ હોય એન્જીનીયરીંગ ક્ષેત્ર હોય કે ઇમીટેશ માર્કેટ હોય તે દેશ વિદેશમાં જાણીતી છે જ પરંતુ આ સેન્ટર બનાવથી એક નવા સફળતાનાં શિખર સર થતા જોવા મળી શકશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:00 am

સાહેબ મિટિંગમાં છે:હર્ષ સંઘવીની વડગામની મુલાકાત બાદ હવે મેવાણી ગૃહમંત્રીને ઘેરવા મજૂરામાં સભા કરશે, નવા મંત્રી મંડળની સાથે મંત્રીઓના PA-PS પણ નવા!

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... ACSના પ્રમોશન પહેલા જ બ્યુરોક્રેટ્સમાં ધરખમ ફેરફાર થશેએમ. કે. દાસ મુખ્ય સચિવ બન્યા છત્તા હજુ તેમની પાસે હોમ ડીપાર્ટમેન્ટનો વધારાનો ચાર્જ છે.ઉપરાંત તાજેતરમાં સુનયના તોમર પણ વયનિવૃત્ત થતા તેમના ચાર્જ અન્ય અધિકારીઓને સોંપાયા છે. સીએમઓમાં પણ એમ. કે. દાસની જગ્યા ખાલી છે. જ્યારે અન્ય કેટલાક અધિકારીઓ પાસે વધારાના ચાર્જ હોવાથી ઓવરબર્ડનની સ્થિતિ છે. જેથી હવે કેટલીક બદલીઓ કરવી પડે તેમ છે.સચિવાલયમાંથી જાણવા મળે છે કે, આગામી દિવસોમાં સરકાર કેટલાક સિનિયર અધિકારીઓની બદલીઓ કરી દેશે. આ બદલીઓ ખુબ જ ઈન્ટરેસ્ટીંગ રહેવાની છે. કેમ કે 1 જાન્યુઆરી 2026એ 1996 બેન્ચના પાંચ પ્રિન્સિપલ સેક્રેટીરીઓને એડિશનલ ચીફ સેક્રેટરી તરીકેનુ પ્રમોશન મળવાનુ છે. જેમાં મોના ખંધાર,ડો.ટી નટરાજન,રાજીવકુમાર ટોપનો,મમતા વર્મા અને મુકેશકુમારનો સમાવેશ થાય છે. આ પાંચ પૈકીના ત્રણ અધિકારીઓને ખુબ જ મોટી જવાબદારી સોંપાઈ શકે છે.જેમાં હોમનો ચાર્જ હાલમાં નાણાં ખાતામા ફરજ બજાવતા ડો.ટી નટરાજન અથવા તો રાજીવકુમાર ટોપનોને મળી શકે તેમ છે. જ્યારે સીએમઓમાં મુકેશકુમાર અથવા તો ટોપનોને મુકી શકાય તેમ છે.આ સિવાય પણ કેટલીક મહત્વની જગ્યા પર બદલીઓ કરી દેવાશે. મંત્રીઓ બાદ હવે પ્રભારી સેક્રેટરીઓને પણ તેમના વિસ્તારમાં નિયમિત હાજરી આપવા CMની સૂચનાથોડો સમય પહેલા મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને સોમ અને મંગળવારે સચિવાલયના કાર્યાલયમાં હાજર રહેવાની તેમજ નાગરિકોને મળી તેમના પ્રશ્નો સાંભળીને તેનો નિકાલ કરવાની સૂચના આવી હતી. જો કે, આવી ટકોર બેથી ત્રણ વખત કરાઈ હતી આમછત્તા હજુ ઘણા મંત્રીઓ આ બે દિવસ દરમિયાન હાજર રહેતા નથી. આ સ્થિતિમાં કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ હવે પ્રભારી સચિવોને પોત પોતાના વિસ્તારોમા નિયમિત હાજર સૂચના મુખ્યમંત્રીએ આવી સૂચના આપી હતી.પ્રભારી સચિવોએ નાગરિકોની વિવિધ સમસ્યાઓને ધ્યાનમાં લેવાની રહેશે. તેમજ સરકાર અને વિભાગો વચ્ચેનુ સંકલન સારુ કરવુ પડશે. પ્રભારી સચિવોએ તેમના વિસ્તારમાં કેવી કામગીરી કરવી તે અંગે મુખ્ય સચિવ પણ તેઓને માર્ગદર્શન આપશે. હાલમાં લગભગ 34 જેટલા આઈએએસ અધિકારીઓ પ્રભારી સચિવ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે.સરકારની વિવિધ સ્કીમો,નીતિઓનો યોગ્ય અમલ કરાવવાનુ કામ પણ પ્રભારી સચિવોનુ છે. સ્થાનિક અધિકારીઓ પાસેથી માહિતી લઈને તેમની પાસેથી કડક અમલવારી કરાવવાની જવાબદારી પણ તેમની જ છે. જો કે, આ પ્રભારી સચિવો મુખ્યમંત્રીની સૂચનાનુ પાલન કરે છે કે પછી મંત્રીઓની જેમ અવગણના કરે છે તે આવનારો સમય બતાવશે. હર્ષ સંઘવીએ વડગામની મુલાકાત લીધી હવે મેવાણી સુરતના મજૂરામાં સભા કરશેછેલ્લા કેટલાક દિવસોથી પટ્ટાકાંડ ચાલી રહ્યો છે. એટલે કે કોંગ્રેસના યુવાન ધારસભ્ય જીજ્ઞેશ મેવાણીએ હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીને પડકાર ફેંક્યો છે કે, ગુજરાતમાં ઠેરઠેર ચાલતા દારુ-જુગારના અડ્ડાઓને બંધ કરાવી દો તો હું ભાજપને સપોર્ટ કરીશે. ડ્રગની લત્તે લાગી રહેલી યુવા પેઢીની બચાવવાનુ કામ સરકારનુ છે. જે પોલીસ અધિકારીઓ દારુ જુગારના અડ્ડાઓને બંધ નહી કરાવે અને ડ્રગની કાળી કમાણીમાંથી હપ્તા લેતા હશે તેઓના પટ્ટા ઉતરાવી દઈશે. આવા નિવેદન બાદ રાજ્યભરમાં હોબાળા મચ્યો છે તેમજ વિવાદ વધુ વકરી રહ્યો છે. જીજ્ઞેશના આક્રમણ બાદ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ મેદાનમાં આવ્યા છે. તેઓેએ જીજ્ઞેશના મત વિસ્તાર વડગામમા જઈને કટાક્ષો કરીને વળતા પ્રહારો કર્યા હતા. જેને પગલે જીજ્ઞેશે પણ હવે જવાબ આપવાનુ નક્કી કર્યુ છે. તેમજ ગૃહમંત્રીના વિસ્તારમાં એટલે કે સુરતના મજૂરામાં જઈને ફરીથી દારૂ-જુગારના સંદર્ભમાં ગૃહમંત્રીને ભીંસમાં લેશે. નવી કેબિનેટ, નવા ચહેરા… પરંતુ સૌથી મોટો ડ્રામા તો PA/PSની યાદીમાં!ગુજરાત સચિવાલયના કોરિડોરોમાં શુક્રવારની રાત્રે ફાઇલ કરતાં વધુ ઝડપે વાતો દોડતી થઈ. કારણ? નવા મંત્રીમંડળ પછી લાંબા સમયથી અટકેલી PA/PSની નિમણૂકની યાદી આખરે બહાર આવીઅને એ યાદીમાં છુપાયેલા સરપ્રાઈઝે ઘણા ઓફિસરોની રાતની ઊંઘ ઉડાવી દીધી! સૌએ ધાર્યું હતું કે જૂના મંત્રીઓના ફેવરિટ PA/PS તો યથાવત રહેશે જ પરંતુ યાદી ખૂલતાં જ આ ધારણા બરફની જેમ ઓગળી ગઈ. ચાર જુના મંત્રી—કનુ દેસાઈ, કુંવરજી બાવળીયા, ઋષિકેશ પટેલ અને પુરુષોત્તમ સોલંકીના PA/PS પણ સંપૂર્ણ બદલાઈ ગયા.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આખા સ્ટાફને બદલી નાખવાનું તો જાણે આ યાદીનું ‘ટ્વિસ્ટ ઓફ ધ ઈયર’ કહી શકાય. ચારેય નામ નવા, કોઈ જૂના ચહેરાને રિએન્ટ્રી નહીં! સચિવાલયના સૂત્રો તો મજાકમાં કહી રહ્યા છે કે, “આ વખતે ખરેખર નવું ગુજરાત, નવા મંત્રી, અને હવે તો નવા PA/PS, બધું જ રીબૂટ મોડ માં!” રાત્રે ઓર્ડર રિલીઝ થયા બાદ મંત્રીઓના બંગલાઓમાં અને સચિવાલયના અધિકારીઓમાં એક જ ચર્ચા જોવા મળી કયા મંત્રીને ત્યાં કયા PA/PS ને મુકવામાં આવ્યા છે અને કોને રિપીટ કરાયા છે. ખાસ તો બે મંત્રીઓના ત્યાં નિવૃત અધિકારીઓને કોન્ટ્રાક્ટ પર અલગથી ઓર્ડર કરતા પણ ચર્ચાએ જોર પકડ્યું છે, પ્રદ્યુમન વાજાના અધિક અંગત મદદનીશ તરીકે એ.પી. મકવાણા, નિવૃત નાયબ સચિવની કરાર આધારિત નિમણૂક કરવામાં આવી છે જ્યારે પ્રફુલ પાનસેરીયાના અંગત સચિવ તરીકે વિપુલ મહેતા, નિવૃત અધિક કલેક્ટરની પણ કરાર આધારિત નિમણૂક કરવામાં આવી છે.મંત્રી કનુભાઈ દેસાઈના કાર્યાલયમાં મંજુર થયેલ જગ્યામાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સિનિયર ટાઉન પ્લાનર રાજન મોરબીયાની નિમણૂક કરવામાં આવી છે.હવે એક વાત તો સ્પષ્ટ છે કે, મંત્રીઓને આખરે તેમની ટીમ મળી ગઈ છે, ત્યારે સચિવાલયના વહીવટમાં પણ સ્પીડ વધશે! શ્રીમદ રાજચંદ્રના સાનિધ્યમાં ગુજરાત ટીમની ચિંતન શિબિર—રમત, સંગીત અને વિકાસનું અનોખું મિશ્રણવલસાડના ધરમપુરમાં યોજાયેલી ગુજરાત ટીમની ચિંતન શિબિરમાં આ વખતે થોડી આધ્યાત્મિક પણ જોવા મળી. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રના સાનિધ્યમાં ટીમે માત્ર વિકાસ પર ચિંતન કર્યું એટલું જ નહીં, પરંતુ રમતો, હેન્ડઝ-ઓન એક્ટિવિટી, ગીત–સંગીત અને કવિતાઓનો ભરપૂર આનંદ પણ લીધો. કહેવાય છે કે પોતાના એક ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે શ્રીમદ રાજચંદ્ર પર હજુ સુધી કોઈએ પીએચડી નથી કરી તો કરવી જોઈએ. સંશોધન ભલે કોઈ કરે કે નહીં, પરંતુ ગુજરાત ટીમે તો તેમના સ્થાને આવીને રિસર્ચ કરતાં પણ વધારે રસપ્રદ અનુભવો મેળવી લીધા—અને સાથે ગુજરાતના વિકાસનો રોડમૅપ પણ તૈયાર કર્યો.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:00 am

રાજકીય માહોલ ગરમાયો:નર્મદા જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું

નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અમિત વસાવા એ તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી દેતા રાજકીય માહોલ ગરમાયો છે. છે. તે છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસના સિનિયર નેતાઓથી નારાજ હતાં. તેમની નારાજગીનો અંત નહિ આવતાં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ અને આપના આગેવાનો કોંગ્રેસ વિરૂધ્ધ નિવેદનબાજી કરી રહયાં છે પણ કોંગ્રેસના સિનિયર આગેવાનો કોઇ જવાબ આપતાં નથી. માત્ર મૌન ધારણ કરી તમાશા જોયા કરે છે. જે મારી વિચારધારા ની વિરૂધ્ધ છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:59 am

શિક્ષણ સ્તર ઊંચુ લાવવાના પ્રયાસ:ભરૂચમાં એસઓએસ અંતર્ગત 226માંથી 81 શાળાઓ તૈયાર

ભરૂચ જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે શાળાને સ્કૂલ ઓફ એક્સિલન્સ તરીકે વિકસાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેનો ઉદ્દેશ શિક્ષણનું સ્તર ઊંચું આવે તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારું બને અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તમામ સુવિધા ઉપલબ્ધ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાં 226 શાળા સ્કૂલ ઓફ એક્સિલન્સ બનાવવામાં આવશે. જે શાળાની અંદર 667 ઓરડા નવા અને 1684 ઓરડાનું સમારકામ કરવામાં આવશે. જેમાં અત્યાર સુધીમાં 81 શાળામાં 254 નવા રોડા બનાવી દેવામાં આવ્યા છે અને 596 ઓરડાનું સમારકામ કરી આધુનિક બનાવી દેવામાં આવ્યા છે. આ શાળામાં દિવ્યાંગ બાળકો માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આમ આગામી દિવસમાં સ્કુલ ઓફ એક્સિલન્સ તરીકે 226 શાળા બનાવી તૈયાર કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:58 am

ખેડૂતોએ પ્રાપ્ત કરી ઉત્તમ આવક:37 બીઆરસી સંચાલક ખેડૂતોએ 46 લાખની આવક કરી‎

ભરૂચ જિલ્લામાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે આત્મા પ્રોજેકટ સતત કામગીરી કરી રહ્યું છે. જેના પરિણામે જિલ્લામાં આજ દિન સુધી પ્રાકૃતિક ખેતી કરતા નવીન નોંધાયેલ ખેડૂતો મળીને કુલ 22420 ખેડૂતોએ કુલ 24309 એકર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે ખેડૂતો ખેતરમાં રાસાયણિક ખાતર વાળી ખેતી કરતા હોય છે. જેના માટે ખર્ચ પણ વધુ થતો હોય છે. તેમજ આધુનિક યુગમાં દેશી ગાય નિભાવ સારૂ ખેડૂતોમાં પ્રવર્તમાન નિરસતા એ પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આવતી મુખ્ય અડચણ પૈકી એક છે. જેથી પર્યાવરણ જાળવણી પ્રેરિત દિન પ્રાકૃતિક ખેતી કરતા સારું બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર એટલે પ્રાકૃતિક ઇનપુટસ સંશાધન કેન્દ્રો જિલ્લામાં તૈયાર કરવાની કામગીરી સતત છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા છે. જેમાં હાલ 37 જેટલા બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર કાર્યરત છે અને 18 નવા બનાવવાની કામગીરી ચાલી રહી છે. આમ અત્યાર સુધીમાં બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર સંચાલકને ઈન્પુટ નું નજીવા ભાવે વેચાણ કરીને રૂપિયા 46 લાખથી વધુની આવક પણ થઈ છે. બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર નો મુખ્ય ઉદ્દેશ દેશી ગાય ના ધરાવતા હોય તેવા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે ખેડૂતો જાતે પ્રાકૃતિક ખેતી કરવા જાતે અને અન્ય ખેડૂતોને બાયો ઈનપુટ વેચાણ કરીને પણ આવક મેળવી રહ્યા છે. એગ્રો સેન્ટરોને ત્યજી વાયો ઇન્પુટ તરફ વળવું જોઇએ‎કુદરતી ખેતીથી ખેતી ખર્ચ ઘટાડીને ખેડૂતોને આવક વધારવાની સાથે જમીને ફળદ્રુપતા સુધારીને સતત જાળવી રાખવાનો અને આવનારી પેઢીને માટે સ્વસ્થ પર્યાવરણ તૈયાર કરીને વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો છે. ખેડૂતોએ જમીન બચાવવી હશે, એગ્રો સેન્ટરોને ત્યજીને બીઆરસી યુનિટ તરફ વળવું જોઈએ. > અબ્દુલ્લા પઠાણ, આત્મા પ્રોજેક્ટ.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:57 am

મંડે પોઝિટીવ:ભરૂચમાં 26,346 ખેડૂતોને નુકસાની‎ પેટે 84.50 કરોડની સહાય ચૂકવાય‎

ભરૂચ જિલ્લા સહિત રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેતી પાકમાં વ્યાપક નુકશાન થતાં સરકાર તરફથી 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયત માં વીસીઇ અને વીએલઇના માધ્યમથી ખેડૂતો સહાય મેળવવા માટે ફોર્મ ભર્યા હતા. જેમાં 5 ડિસેમ્બર સુધી સહાય માટે ફોર્મ ભરવાની કામગીરી ચાલી હતી. જેમાં દરમિયાન 92 હજાર જેટલા ખેડૂતોએ સહાય મેળવવા માટે ફોર્મ ભર્યા છે. જેમાંથી અત્યાર સુધીમાં 26346 ખેડૂતોને રાજ્ય તેમજ એસડીઆરએફમાંથી કુલ રૂપિયા 84.50 કરોડથી વધુની રકમની ચુકવણી કરી દેવામાં આવી છે. સહાય માટે 14 નવેમ્બર થી પાક સહાય માટે ઓનલાઇન અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થતાં કેટલાક ખેડૂતો સહાય માટે રહી નહીં જાય તે માટે અરજી કરવાની તારીખ લંબાવી 5 ડિસેમ્બર કરવામાં આવી હતી. 1.89 લાખ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો‎ભરૂચ જિલ્લામાં માવઠાને કારણે 654 ગામમાં અંદાજે 1.89 લાખ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો હતો. જેના માટે પ્રથમ દિવસે 106 ટિમ અને બીજા દિવસથી 355 ટિમ કામે લાગી ચાર દિવસમાં સર્વે પૂર્ણ કરવામાં આવ્યો હતો. આમ અંદાજે 1 લાખ જેટલા ખેડૂતોને નુકશાન થયું હોવાનું સામે આવ્યું હતું. જેમાં ડાંગર, કપાસ, તુવેર અને સોયાબીનના પાકમાં નુકશાન થયું હતું. કેટલીક ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટરનો અભાવરાજય સરકારે માવઠાથી થયેલા નુકસાનના વળતર માટે ખેડૂતો પાસે ઓનલાઇન અરજીઓ મંગાવી હતી. મોટાભાગની ગ્રામ પંચાયતોમાં કર્મચારીઓએ તેમના મોબાઇલના નેટથી ખેડૂતોને ફોર્મ ભરી આપ્યાં હતાં. 14મીએ પોર્ટલ ખુલતાની સાથે એક કલાક ચાલ્યા બાદ સર્વર ઠપ થઇ ગયું હતું. બીજી તરફ કેટલાક ગામમાં કોમ્પ્યુટર સહિતની સુવિધા નહીં હોવાના કારણે અન્ય ગ્રામ પંચાયત માં ફોર્મ ભરવા માટે કતારમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો. સર્વર સમસ્યા સર્જાતા એક ફોર્મ ભરતા 20 થી 30 મિનિટ જેટલો સમય લાગતો હતો.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:55 am

થાનમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાનનો પ્રારંભ:લોકો ઘરેથી કપડાની થેલી લાવે તે અંગે વેપારીઓ ગ્રાહકને સમજાવે

આધુનીક જીવનમાં પ્લાસ્ટિકના વધતા ઉપયોગ અને તેના કારણે ગૌવંશ તેમજ અન્ય પશુઓને થતી ગંભીર અસર થાય છે. થાનગઢ પાંજરાપોળના સંશોધન મુજબ, મોટાભાગના પશુઓ પ્લાસ્ટિક ખાવાથી મૃત્યુ પામે છે. જિલ્લામાં એક દિવસમાં 100 ગાય મરે છે એક ગાયના પેટમાંથી 40થી 50 કિલોગ્રામ જેટલું પ્લાસ્ટિક નીકળતું હોય છે. દિવ્ય ભાસ્કરના અહેવાલને ધ્યાનમાં રાખીને થાનમાં એક મહત્વપૂર્ણ જનજાગૃતિ અભિયાન શરૂ કરાયું છે. સીતારામ ગૌશાળા ખાતે આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં અનેક સંસ્થાઓએ એકસાથે આવીને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે સંયુક્ત પ્રયાસો શરૂ કર્યા છે. આ અભિયાનનું મુખ્ય કેન્દ્રબિંદુ પ્લાસ્ટિકના કારણે પશુઓના સ્વાસ્થ્ય પર થતી ભયાનક અસરો છે. આ અભિયાનમાં સીતારામ ગૌશાળા ટ્રસ્ટ, પાંજરાપોળ, અને અન્ય સેવાભાવી સંસ્થાઓએ નગરપાલિકા અને મામલતદાર ઓફિસ જેવા સરકારી એકમોને પણ સાંકળવાની યોજના બનાવી છે. વેપારીઓ કપડાની થેલી વાપરે અને ગ્રાહકો પાસેથી પૈસા લે. જો ગ્રાહક તે થેલી પરત કરે તો તેના પૈસા બાદ કરી દેવામાં આવે, જેથી થેલીનો પુનઃઉપયોગ થાય. લોકોને ઘરેથી જ થેલી લઈને વસ્તુઓ ખરીદવા જવાનું આહ્વાન કરવામાં આવ્યું છે, જે ગાયને બચાવવાનું પુણ્યનું કામ ગણાશે. આ ઉપરાંત, પક્ષીઓને તળેલી વસ્તુઓ ભોજનમાં ન આપવા માટે પણ જાગૃતિ ફેલાવવામાં આવી છે. મનુષ્યને પોતાના ખોરાકની જેમ પશુ-પક્ષીઓને પણ તેમના જીવન માટે જરૂરી ખોરાક પૂરો પાડવા વિનંતી કરવામાં આવી છે. ગાયના પેટમાંથી 50 કિલો પ્લાસ્ટિક કાઢ્યું થાનગઢ પાંજરાપોળના સંશોધન મુજબ, પશુઓ પ્લાસ્ટિક ખાવાથી મૃત્યુ પામે છે. ડૉ. શંકરભાઈ સાબરીયા, ડૉ. રાજેશ માલકીયા અને સરકારી ડૉક્ટર ભાવસાર સહિતની ટીમે 3 ગાયોના ઓપરેશન કર્યા, જેમાંથી 1 ગાયના પેટમાંથી 45થી 50 કિલો પ્લાસ્ટિક કઢાયું હતું. જોકે, માત્ર 1 ગાયને બચાવી શકાય હતી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:47 am

ખાતમુહૂર્ત:ધ્રાંગધ્રામાં સિંદુર સર્કલ સહિત 11.93 કરોડના કામોનું ખાતમુહૂર્ત

ધ્રાંગધ્રા શહેરમાં બાયપાસ રોડ ઉપર દેશભક્તિની સાંજ સમાનું સિંદુર સર્કલ સહિત વિવિધ વિકાસના 11.93 કરોડના કામનો ખાતમુરત પૂર્વ મંત્રી, સાંસદની ઉપસ્થિતિમાં પાલિકા દ્વારા કરાયું હતું. ત્યારે શહેરને પાલિકા ચૂંટણી પહેલા અનેક વિકાસના કામોની ભેટ મળશે. ભગવતધામ ગુરુકુલના ગેઇટના બાયપાસ પાસે સિંદૂર સર્કલ’ વાળા બોક્સનું કામ સીસી રોડ ફુટપાથ સહિત વિવિધ વિકાસના કામોનું ખાત મુહૂર્ત પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, તેમજ સાસંદ ચંદુભાઈ શિહોરાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમાં પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, પાલિકા ઉપપ્રમુખ હિરેનભાઈ કાનાબાર, પાલિકા કારોબારી ચેરમેન પૂજાબેન જાદવ તથા પાલિકા સસાકપક્ષના નેતા રમેશભાઈ પ્રજાપતિ, સંગઠન પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ, મહામંત્રીઓ સંજયભાઈ ગોવાણી, રાજદીપકસિંહ પરમાર, પ્રો.જીવણભાઈ ડાંગર સંગઠનના હોદેદારો, વોર્ડ નંબર 1ના સુધરાઈ સભ્ય, વિવિધ વોર્ડના સુધરાઈ સભ્યો, સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આઈ.કે. જાડેજાએ જણાવ્યુંં સરકાર દ્વારા અનેક વિકાસના કામો કરાઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:46 am

ફરિયાદ નિવારણની બેઠકનું આયોજન:ઇ-ધરા કેન્દ્ર ખાતે દાખલ થતી હુકમી‎નોંધોનો 15 દિવસમાં નિકાલ કરવો‎

નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાના અઘ્યક્ષ સ્થાને ચોટીલા, થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ–1ના એકથી નવ પત્રકોની તેમજ ભાગ–2માં અલગ અલગ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. મેવાસા (સુ), સુખસર, ઘારૈઇ ગામે એસટી બસ ચાલુ કરાવવા અંગેનો પ્રશ્ન, મકાન સહાય માટેના હપ્તા સમયસર મળે તે અંગેનો પ્રશ્ન, સ્મશાન, ગામતળ નીમ કરવા અંગેની દરખાસ્ત મોકલી આ૫વા અંગેનો પ્રશ્ન. વધુમાં આ બેઠકની સાથે સાથે ઇ-ઘરા અમલીકરણ તેમજ પુરવઠા સલાહકાર સમિતીની બેઠક યોજાઈ. જેમાં ઇ-ઘરા કેન્દ્ર ખાતે દાખલ થતી હુકમી નોંધોનો 15 દિવસમાં નિકાલ કરવો. ઇ-ઘરા કેન્દ્ર ખાતે દાખલ થતી વેચાણ, હયાતીમાં હક દાખલ, વારસાઇ, હક કમી વગેરે નોંઘો 55 દિવસ ઉ૫ર ન જાય તે અંગે તકેદારી રાખવી. રેકર્ડ વર્ગીકરણ સમયમર્યાદમાં પૂર્ણ કરવું. મામલતદારે સરકારની જોગવાઇઓ મુજબ ઇ-ઘરા કેન્દ્ર ખાતે દાખલ થયેલ નોંધોની ચકાસણી કરી રિવિઝન લેવા પાત્ર જણાય તો સત્વરે રિવિઝનમાં લેવા અંગેની દરખાસ્ત મોકલી આ૫વી. બિનજરૂરી નોંધો નામંજૂર ન થાય તે અંગે તકેદારી રાખવી. બેંક / મંડળી દ્વારા બોજા દાખલ અંગેની નોંધો દાખલ કરવામાં સર્વે નંબર ખોટા સિલેક્ટ કરાય છે જેના કારણે નોંધ નામંજૂર થાય છે. તેથી ભવિષ્યમાં આવું ન બનવા પામે તે માટે તાકીદ કરવામાં આવ્યા હતા. પુરવઠા શાખાનો જથ્થો નિયત સમય મર્યાદામાં વિતરણ કરવો. પુરવઠામાં ચાલતી e-kycની કામગીરી સત્વરે પૂર્ણ કરવી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:46 am

ખાડારાજ:દેવળિયા ભાથરીયા વચ્ચેના 2 કિમીના માર્ગ પર 50 જેટલા ખાડા

દેવળિયા- ભાથરીયા વચ્ચેના 2 કિમીના માર્ગ છેલ્લા ઘણા સમયથી દયનીય સ્થિતિમાં છે. આ રોડ પર અંદાજે 50 જેટલા ખાડા છે. ગ્રામ્ય વિસ્તારને સુરેન્દ્રનગર સાથે સીધો જોડતો આ મુખ્ય માર્ગ આજે ‘ખાડારાજ’ બની ગયો છે. લોકોના જણાવ્યા અનુસાર, રસ્તા પર નાના–મોટા લગભગ પચાસેક ખાડાઓ હોવાથી ત્યાંથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. ગ્રામ્ય વિસ્તારના આ રસ્તેથી રોજ પસાર થતા વાહનચાલકો, વિદ્યાર્થીઓ, કામે જતા લોકો અને ખેડૂતોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ટુ વ્હીલર વાહનચાલકો આ રસ્તા પર અકસ્માતના ભય સાથે વાહનોને નુકસાન થવાના બનાવો વધ્યા હોવાની રાવ ઉઠી છે. વાહનચાલકોનો આક્ષેપ છે કે ચોમાસા પછી પણ તંત્ર રસ્તાની મરામત કે દેખરેખમાં ગંભીરતા દાખવી રહ્યું નથી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:45 am

ગામ ગામની વાત:ખારી નદી કાંઠે વસેલું 200 વર્ષ પ્રાચીનજૂનું વઢવાણ તાલુકાનું ખારવા ગામ‎

વઢવાણ ખારી નદીના કિનારે વસેલા ખારવા ગામનો 200 વર્ષથી વધુ પ્રાચીન ઇતિહાસ છે. ધાર્મિક, શૈક્ષણીક રીતે અગ્રેસર વઢવાણ તાલુકાનું ગામ ખારવા વિકાસને વરેલું છે. ખારવા ગામ વાહન વ્યવહાર અને ઉચ્ચશિક્ષણની સુવિધાથી વંચિત છે. ખજુરીવાળી મેલડીમાં જેવા ધર્મ સ્થાનકો અને કૃષિક્રાંતી સર્જતા ખેડૂતો ગામની શાન છે. વઢવાણ રાજ્યના તાબામાં આવેલું 4000 જેટલી વસ્તી ધરાવે છે. આ ગામમાં લેઉઆ પટેલ, ભરવાડ, કોળી સમુહ ધરાવે છે. નેશનલ હાઇવે અને વઢવાણ તાલુકાથી આશરે 7થી 8 કિમીનું અંતર ધરાવે છે. ખારવા ગામનો ઇતિહાસ પ્રાચીન હોવાની સાક્ષી વઢવાણ નગરનો ખારવાની પોળનો દરવાજો આજે પણ અડીખમ છે. ખારવામાં વિશાળ તળાવ અને ઘરે ઘરે નળને લીધે પાણીની સમસ્યા મહદ અંશે ઓછી છે. જ્યારે ખારી નદીના કિનારે કૃષિક્રાંતિ સર્જી છે.ગામના પાદરે પાળીયા યુધ્ધ અને પરાક્રમોની સાક્ષી પૂરે છે. ખારવા ગામમાં 1877 બનેલી પ્રાથમિક શાળામાં ધો.1થી 8માં 250થી વધુ બાળકો અભ્યાસ કરે છે. આ અંગે પેસેન્ટર શાળા ખારવાના આચાર્ય કિશોરભાઇ ચાવડાએ જણાવ્યું ખારવામાં શિક્ષણનું પ્રભુત્વ છે આથી દેશ વિદેશમાં ખારવાના ગ્રામજનો અમારું ગૌરવ છે. ગામમાં સિમેન્ટ કોંક્રીટના રસ્તા, પાણી, વીજળી, આરોગ્યકેન્દ્રની સુવિધા છે. રાજાશાહીથી લોકશાહીમાં ખારવા ગામમાં રેલવે અને બસની સુવિધા હતી. પરંતુ છેલ્લા 25 વર્ષથી એસટી બસના દર્શન દુર્લભ બન્યા હોવાનું ચિંતનભાઇ પટેલે જણાવ્યું હતું. ખારવા રેલવે સ્ટેશને ટ્રેન ઉભી રહેતી નથી. વાહન વ્યવહારની સુવિધાના અભાવે મુશ્કેલી પડી રહી છે. ગામમાં સિંચાઇ માટે પાણી અને ઉચ્ચ શિક્ષણની લોક માંગ4000થી વધુ વસ્તી ધરાવતા ખારવા ગામનું અર્થ તંત્ર ખેતી પર નિર્ભર છે. પરંતુ નર્મદના નીર ખેતરો સુધી નહીં પહોંચતા ખેતીને અસર થઇ છે. આથી સિંચાઇનું પાણી મળે તો કૃષિક્રાંતિ કરવા ખેડૂતો મક્કમ છે. જ્યારે ખારવામાં હાઇસ્કૂલ કે ઉચ્ચશિક્ષણની વ્યવસ્થા નથી. આથી ધો.9, 10 અને 12ની ગામમાં શિક્ષણની વ્યવસ્થાની માંગ ઉઠી છે. ખજુરીવાળા મેલડીમાંનો પ્રતાપ ખારવાના સીમાડે ખારવા ગામના સીમાડે બીરાજતા ખજુરીવાળા મેલડીમાંનો પ્રતાપ છે. રેલ્વે ફાટકથી 1 કિમી દૂર એક કરોડના ખર્ચે ભવ્ય ખજુરીવાળી મેલડી માતાજીનું મંદિર બનાવાયું છે. દર રવિવારે અને મંગળવારે અહીં ભક્તો ઉમટી પડે છે. જ્યારે ખારવા ગોમટા વચ્ચે પણ વિશાળ ખજુરીવાળા મેલડીમાંનુ બીજુ મંદિર પણ રમણીય છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:45 am

ગોઝારો અકસ્માત સર્જાયો:સાયલાના હડાળા ગામના યુવાનના બાઇકનો સાથે કાર અકસ્માત થતાં મોત

સાયલા તાલુકાના હડાળા ગામે રહેતા 31 વર્ષના મહેશભાઇ ભીખાભાઇ સોંઢા તા. 5 ડિસેમ્બરના રોજ સાંજના 5 કલાકે આયા પાસેના પંપ ખાતે સફાઇ કામ કરીને ઘેર પરત આવી રહ્યો હતો. દરમિયાન રાજકોટ અમદાવાદ હાઇવે ક્રોસ કરતો હતો. તે સમયે પૂરઝડપે આવતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી બાઇક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં મહેશભાઇ રસ્તા વચ્ચે ફંગોળાઇ ગયા અને શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત મહેશભાઇને ચોટીલા સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ મહેશભાઇને હેમરેજ થતા વધુ સારવાર મળે તે પહેલા મોત થયું હતું. આ બાબતે 5 દીકરીનો પરિણીત ભાઇ મહેશભાઇના મોતના સમાચારથી પરિવાર અને હડાળા ગામમાં અરેરાટી જોવા મળી હતી. પોલીસને જાણ થતા લાશને પીએમ માટે મોકલ્યો છે. પરિવારજનોએ અંતિમક્રિયા કરીને સાયલા પોલીસને ગુનો દાખલ કરવા માટે આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:43 am

હેલ્થ કેમ્પનું આયોજન:ખારાઘોડામાં સેતુ આરોગ્ય કેન્દ્ર હેલ્થ કેમ્પમાં કુલ 170 દર્દીઓએ તબીબી તપાસ કરાવી

ખારાઘોડામાં સેતુ આરોગ્ય કેન્દ્ર હેલ્થ કેમ્પમાં કુલ 170 દર્દીઓએ તબીબી તપાસ કરાવી હતી. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખારાઘોડા અને તાલુકા હેલ્થ વિભાગનો વિશેષ સહયોગ મળ્યો હતો. જેમાં અમદાવાદની નામાંકિત જી સીએસ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી. ખારાઘોડા સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આ હેલ્થ કેમ્પ વિશેષ એટલા માટે રહ્યો કે તમામ દર્દીઓના બીપી અને શુગર તપાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખારાઘોડા દ્વારા કરવામાં આવી હતી. અને જોખમી પ્રસુતિની શ્રેણીમાં આવતી ખારાઘોડાની સગર્ભા મહિલાઓની તબીબી તપાસ અને દવાઓ આપવામાં આવી હતી. સાથે કુપોષિત બાળકોને તપાસી અને દવા આપવામાં આવી હતી. આ હેલ્થ કેમ્પમાં વિશેષ સારવારની જરૂર જણાય તેવા બાળકોને સંદર્ભ કાર્ડ આપી અને વિશેષ સારવાર માટે રિફર કરવામાં આવશે. જેમાં વિશેષ તબીબી સારવારની જરૂરિયાત વાળા દર્દીઓને સારવાર માટે વ્યવસ્થાઓ થશે. અને સરકારની આયુષ્યમાન યોજના હેઠળ લાભાર્થી દર્દીને સારવારના લાભ મળે તે માટે પૂરતા પ્રયાસો થશે. આ હેલ્થ કેમ્પમાં કુલ 170 દર્દીઓએ આ કેમ્પમાં તબીબી તપાસ કરાવી દવા લીધી હતી. જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. સિંગ, મેડિકલ ઓફિસર, પીએચસી ખારાઘોડા, હેલ્થ વર્કર સ્ટાફ, આશા બહેનો, સેતુ ટ્રસ્ટી રાજેન સંઘવી સહિત સેતુ ટીમ દ્વારા કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:42 am

એકલ કલા પ્રદર્શન ‘ધ સ્પેસ વિધીન''નો પ્રારંભ‎:ત્રણ વર્ષોમાં તેમણે લગભગ 8000 ચિત્ર બનાવ્યા, જેમાંથી 65ને ઉદયપુરમાં પ્રદર્શિત કરવામાં આવ્યા

ભાસ્કર ન્યૂઝ|સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર, ગુજરાતના વરિષ્ઠ કલાકાર દેવજી શ્રીમાળીની એકલ કલા પ્રદર્શન ‘ધ સ્પેસ વિધીન'નો પ્રારંભ ઉદયપુરમાં થયો છે. આ પ્રદર્શનમાં સુરેન્દ્રનગર, કલાકાર દ્વારા તૈયાર કરાયેલા શ્વેત-સ્યાહ (સફેદ-કાળા) ડ્રોઇંગ્સ ને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર ગુજરાતના વરિષ્ઠ કલાકાર દેવજીભાઇ શ્રીમાળીની એકલ કલા પ્રદર્શની ‘ધ સ્પેસ વિધીન' ગુરુવારના રોજ શહેરની બાગોરની હવેલીમાં પ્રારંભ થઈ. આ પ્રદર્શનમાં શ્વેત સ્યાહ ડ્રોઇંગ્સને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન શહેરના કલાકાર અને ફેકલ્ટી ઓફ વિઝ્યુઅલ આર્ટ્સ નિર્દેશક પ્રો. હેમંત દ્વિવેદીએ કર્યું. શ્વેત સ્યાહ રંગોમાં બનેલા ચિત્રોની આ પ્રદર્શનીની ખાસ વાત એ છે કે તેમાં પ્રયોગ કરવામાં આવેલી શાહી કલાકાર દ્વારા સ્વયં બનાવવામાં આવી છે. આ ચિત્રોમાં ક્યાંય પણ બ્રશનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ફક્ત કપડાંના માધ્યમથી જ ડ્રોઇંગમાં સ્ટ્રોક આપવામાં આવ્યા છે. દેવજીભાઇએ પોતાના ચિત્રો વિશે જણાવ્યું કે કોરોના કાળ પછી તેમણે કોરોનાથી પ્રભાવિત મનોભાવોને પોતાના ડ્રોઇંગ્સમાં પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષોમાં તેમણે લગભગ 8000 ડ્રોઇંગ્સ બનાવ્યા છે, જેમાંથી 65 ચિત્રોને અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. દેવજી ગુજરાત રાજ્યના પ્રતિષ્ઠિત કલાકાર છે. આ પ્રદર્શનના અવસર પર શહેરના હેમંત મહેતા, સુનીલ નિમાવત, ગૌરવ શર્મા, શાહિદ પરવેઝ, શર્મિલા રાઠૌર, ચિત્રસેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શની 11 ડિસેમ્બર સુધી સવારે 11થી 7 વાગ્યા સુધી કલાકાર અને કલા પ્રેમીઓના અવલોકન માટે નિઃશુલ્ક ખુલ્લી રહેશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:40 am

મંડે પોઝિટીવ:સુરેન્દ્રનગરમાં ત્રિવેણી સંગમ, મનપા દ્વારા બે RRR સેન્ટરનો પ્રારંભ‎

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને કચરાના વૈજ્ઞાનિક વ્યવસ્થાપનના ઉદ્દેશ્ય સાથે શહેરના ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોનમાં બે અત્યાધુનિક RRR (Reduce-Reuse-Recycl e) સેન્ટરનો શનિવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેન્ટરો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા, વસ્તુઓનો પુનઃઉપયોગ કરવા અને રિસાયક્લિંગને પ્રોત્સાહન આપશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોના સહયોગથી પર્યાવરણ સંરક્ષણ તથા કચરાના વૈજ્ઞાનિક વ્યવસ્થાપનના ઉદ્દેશ્ય સાથે ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોનમાં બે અત્યાધુનિક RRR (Reduce-Reuse-Recycl e) સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉત્તર ઝોનનું RRR સેન્ટર વેપારી મંડળના દવાખાના પાસે જ્યારે દક્ષિણ ઝોનનું સેન્ટર ગંગાવાવ સામે આવેલું છે. આ સેન્ટરોનો મુખ્ય હેતુ પ્લાસ્ટિક તથા અન્ય કચરાનો ઉપયોગ ઘટાડવો, વસ્તુઓનો પુનઃઉપયોગ કરવો અને રિસાયક્લિંગને પ્રોત્સાહન આપવાનો છે. આ સાથે સાથે શહેરી સ્વચ્છતા જાળવવી તેમજ જરૂરિયાતમંદ નાગરિકોને મદદરૂપ થવું પણ આ યોજનાનો મહત્વનો ભાગ છે. આ સેન્ટરોમાં ઘરમાં વપરાશમાં ન આવતી વસ્તુઓ જેવી કે જૂના કપડાં, રમકડાં, પુસ્તકો, ઘરવખરીની વસ્તુઓ વગેરે જમા કરાવી શકાય છે. જરૂરિયાતમંદ વ્યક્તિઓ આ સેન્ટરની મુલાકાત લઈને પોતાની જરૂરિયાત મુજબની વસ્તુઓ મેળવી શકે છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તમામ નાગરિકોને અપીલ કરે છે કે, ઘરમાં નકામી થઈ ગયેલી વસ્તુઓને કચરાપેટીમાં નાખવાને બદલે RRR સેન્ટરમાં જમા કરાવી પર્યાવરણ સંરક્ષણ તથા જરૂરિયાતમંદોની મદદમાં ભાગીદાર બને, સુરેન્દ્રનગરને વધુ સ્વચ્છ, હરિયાળું અને સંવેદનશીલ શહેર બનાવવાની આ પહેલમાં સહભાગી બને. પહેલા દિવસે ખાસ કરીને મનપાના સ્ટાફે કપડા અને રમકડા જેવી વસ્તુઓ જમા કરાવી હતી. લોકોને જેમ જેમ ખબર પડતી જશે તેમ તેમ વધુ અને અલગ અલગ વસ્તુઓ આવશે તેવી આશા છે. એક નિરાધાર બાળક ને રમકડા અને કપડા મળતા ખુશીથી જુમી ઉઠ્યો આ યોજનાનું હૃદયસ્પર્શી ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું જ્યારે વોર્ડ નં. 4ના RRR સેન્ટરમાં એક નિરાધાર બાળકે મુલાકાત લીધી હતી. શહેરીજનો દ્વારા જમા કરાવાયેલા જૂના રમકડાંમાંથી તે બાળકને એક સુંદર રમકડું આપી તેને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું. આ સાથે જ તેને જરૂરી કપડાં પણ પૂરા પાડ્યા હતા. સેન્ટર ઉપર હાજર વસ્તુ હશે તે મળશેમનપા દ્વારા કરવામાં આવેલા નવા અને પ્રજાલક્ષી આયોજનમાં જે વ્યક્તિને વસ્તુની જરૂર હોય તે વ્યક્તિ મનપાના સેન્ટરની મુલાકાત લેવાની રહેશે. મનપા વ્યક્તિની વિગતો મેળવશે અને જે વસ્તુ હાજર હશે તે વસ્તુ બતાવશે. પછી વ્યક્તિને જરૂર હોય તે વસ્તુ આપવમાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:39 am

વેધર રિપોર્ટ:જિલ્લામાં 55 ટકા ભેજ સાથે 8 કિમીએ પવન ફૂંકાયો : શિયાળાની સાંજ ખીલી

સુરેન્દ્રનગર જિલ્લામાં લોકો છેલ્લા થોડા દિવસથી ડબલ ઋતુનો અહેસાસ કરી રહ્યા છે. ત્યારે જિલ્લામાં ફરી શિયાળાની ઠંડીએ જોર બતાવવાનું શરૂ કર્યું છે. જિલ્લામાં રવિવારે લઘુતમ 16 અને મહત્તમ 30.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે આ દિવસે પવનની ગતિ 8 કિમી તેમજ ભેજનું પ્રમાણ 55 ટકા રહ્યું હતું. બીજી તરફ શિયાળામાં કહેવાય છે કે સવાર અને સાંજની ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે. જિલ્લામાં કુદરતે આકાશમાં સામી સાંજે મીઠાં અને ગુલાબી રંગો છેડ્યા હોય તેવા દર્શન લોકોએ કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:35 am

ગામ ગામની વાત:20 વર્ષ પહેલાં આ ગામના તળાવમાંથી મોરબીની તૃષા છીપાતી, આજે પણ અહીં પ્રાથમિક સુવિધાની કોઇ કમી નથી

મોરબીના પાનેલી ગામનો આશરે 140 વર્ષનો રોચક ઈતિહાસ છે. મોરબી તાલુકાના પાનેલી ગામ એટલે પચીસેક વર્ષ પહેલાંનુ મીની કાશ્મીર સ્વર્ગ કહેવાતું. ગામની આસપાસ લીલાછમ ખેતર, વાડીઓથી કુદરતી સૌંદર્ય અને વરસાદીના પાણીના સ્ત્રોત, કૂવા બોરના પાણી નાળીયેરના પાણી જેવા બળુકા હોવાના કારણે પાનેલીની ઓળખ હતી. આજથી 20 વર્ષ પહેલાં પાનેલી ગામના તળાવમાંથી મોરબીને પાણી આપવામાં આવતું અને વરસાદમાં આ તળાવ ભરાતું એટલે મોરબી પર જળસંકટ દૂર થયું એવું મનાતું. ઔદ્યોગિક એકમોથી આ કુદરતી સૌંદર્યથી ભરપૂર ગામ હવે ઝેરી પ્રદુષણયુક્ત બની ગયું છે. સરપંચ ગૌતમભાઈ હડિયલે જણાવ્યું હતું કે, મોરબીથી આશરે 14 કિમી દૂર આવેલું મુળ જુનું પાનેલી ગામ હાલમાં જ્યાં પાનેલી તળાવ આવેલું છે ત્યાં ગામ વસવાટ કરતું હતું, મોરબીના મહારાજા વાઘજી ઠાકોરના જે તે સમયના નિષ્ણાત રાજદરબારીઓએ મોરબીને પીવાનું પાણી મળી રહે તે માટે જગ્યાની શોધખોળ મોરબી આસપાસ કરતા હતા. એક રિપોર્ટ અનુસાર તળાવ બનાવવા માટે પાનેલી ગામના લોકોને અન્ય જગ્યાએ વસવાટ કરવા માટે જગ્યાની શોધખોળ શરૂ કરી. જુના પાનેલીથી અલગ લગધીરપુર ગામ બન્યું બીજુ કાલીકાનગર બન્યું. એ લોકોની ખેતીની જમીન એ બાજુ હોય એટલે ત્યાં વાઘજી ઠાકોરના રાજકુમાર નામ પરથી એ બંને ગામ બન્યા. બાકી રહેતા ગામજનોને જુના પાનેલી ગામથી બે કિલોમીટર દૂર હાલના પાનેલી ગામની સ્થાપના કરવામાં આવી હતી. જીઆઇડીસીથી પ્રદૂષણનો ખતરો વધ્યો‎લીલોતરીથી ભરપુર આ ગામમાં રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક એકમોને પ્રાધાન્ય આપવા જીઆઇડીસી બનાવવામાં આવી રહી છે. પાનેલી ગામની આસપાસના ગામોની ખેતીની જમીનમાં એકમો સ્થાપતા પ્રદુષણનો ખતરો છે. એક સમયનું સ્વસ્થ ગામ આજે ઝેરી પ્રદુષણના કારણે અસ્વસ્થ ગામ જેવી હાલત થઇ ગઈ છે, પાનેલી ગામની જનસંખ્યા આઠ હજારથી વધુ હોય વિકસિત ગામનો દરજ્જો ધરાવે છે. પાનેલી ગામે કઈ કઈ સુવિધાઓ છે ?‎હાલમાં પાનેલી ગામે ઉપલબ્ધ સુવિધાઓ જોઈએ તો, ધોરણ એકથી ધોરણ દસ સુધીની પ્રાથમિક-માધ્યમિક શાળા, પ્રાથમિક સારવાર માટેનુ દવાખાનું, આંગણવાડી, સસ્તા અનાજની દુકાન, પોસ્ટ ઓફિસ, બેંક, નર્મદા આધારિત મચ્છુ ડેમનું પીવા માટેનું પાણી કોમ્યુનિટી હોલ રેઈનબસેરા હોલ, જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:34 am

મંડે પોઝિટીવ:મોરબીના શિક્ષિકાનું જીવન સમર્પણ, નિવૃત્તિ પછી બાળકોને આપે વિદ્યાદાન‎

ચાણક્યનું પ્રસિદ્ધ વાક્ય છે કે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ, આવી શિક્ષકની શિક્ષણ પ્રત્યેની નિષ્ઠાવાન ભાવનાને મોરબીના એક શિક્ષિકાએ ખરા અર્થમાં ચરિતાર્થ કરી છે. હાલ મોરબીમાં રહેતા અને મોરબીમાં 2001ના વિનાશક ભૂકંપ બાદ તાલુકાના અમરનગર ગામમાંથી અલગ બનેલા રોટરીનગર ગામની ધો.1થી 5 સુધીના પ્રાથમિક શાળાના શિક્ષિકા કંચનબેન બોડા 37 વર્ષના કાર્યકાળ દરમિયાન બાળકોને સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપવાના ભગીરથ પ્રયાસો કરીને બે વર્ષ પહેલાં નિવૃત થયા હતા. પણ તેમનો આત્મા શિક્ષણ સાથે જોડાયેલો છે. તેઓ મૂળ શિક્ષણનો જીવ હોવાથી શિક્ષણ આપવાથી દૂર રહી શક્યા નથી. નિવૃત થયાના બીજા દિવસે જ ગરીબ બાળકોને શિક્ષણ આપવાનું શરૂ કરી દીધું હતું. તેઓ દ્રઢપણે માને છે કે, વિદ્યાદાનથી શ્રેષ્ઠ દાન એકેય નથી.હવે ઉંમર થઈ ગઈ હોવા છતાં તેમને કંટાળો આવતો નથી. 18માંથી બાળકોની સંખ્યા વધીને 80 થઈરોટરીનગરની શાળામાં અગાઉ ધો.1થી 7ના વર્ગ હતા. તો પણ ત્યારે 18 બાળકોની સંખ્યા હતી. પણ હવે ધો.5 સુધીની શાળા હોવા છતાં 18થી વધીને 80 જેટલા બાળકોની સંખ્યા થઈ છે.જો કે આ બાળકો આસપાસના મજૂર વર્ગના ગરીબ પરિવારોના છે. આ ગરીબ પરિવારોને તેમના દીકરા દીકરીને ભણવા મુકવા માટે તેમના સહિતના શિક્ષકોએ ભારે જાગૃતિ ચલાવી હતી. આ બાળકોને દાતાની મદદથી યુનિફોર્મ અને શિક્ષણ કીટ આપવાની વ્યવસ્થા કરાય છે. ભાસ્કર ઇનસાઇડપોતાના સંતાનોને પણ ઉચ્ચ શિક્ષણ અપાવી પગભર બનાવ્યા જે શિક્ષિકા ગરીબ બાળકોના ઘડતરની ચિંતા કરતા હોય તેઓ પોતાના સંતાનો માટે પણ કેટલું વિચારતા જ હોય. કંચનબેન બાળકોના શિક્ષણ પ્રત્યે જીવન સમર્પિત કરવાની સાથે પોતાના પરિવારની જવાબદારી ભૂલ્યા ન હતા. બાળકોને શિક્ષણ આપવાની સાથે પોતાના બે સંતાનો જેમાં એક પુત્ર અને પુત્રી છે તેમને કોમ્યુટર એન્જિનિયર સુધીનું શિક્ષણ અપાવી બન્નેને પરણાવી, સંસાર વસાવી દીધો છે અને તે જવાબદારી નીભાવી લીધા પછી હવે ગરીબ બાળકોની ખેવના કરે છે. જો કે તેમના પતિ મણીલાલ સરડવા પણ શિક્ષક છે. પણ શિક્ષિકા પત્નીએ લગ્ન પછી પોતાના નામ પાછળ પતિનું નામ અને અટકને બદલે પિતાનું નામ અને અટક રાખી હોવા છતાં પતિએ એમની લાગણીને માન સન્માન આપ્યું છે. કંચનબેન બોડાએ આજુબાજુની પાંચ શાળાના 300 જેટલા ગરીબ અને મજૂર વર્ગના બાળકોને પોતાના ખર્ચે સ્કૂલબેગની ભેટ આપી હતી. તેમજ આ પાંચેય શાળાઓના બાળકોને શૈક્ષણિક વસ્તુઓ મળી રહે તે માટે તેમણે શાળામાં ''રામહાટ'' ચાલુ કરાવી છે. આ રામહાટમાંથી બાળકો શિક્ષણને લગતી વસ્તુઓ મેળવી શકે છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:31 am

પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા શાંતિ રથ:મોરબીમાં શાંતિનો સંદેશો લોકો સુધી પહોંચાડવા શાંતિ રથનું આગમન

પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા આગામી 21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે ''બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપિલ'' પ્રોગ્રામનું અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજન થવા જઈ રહ્યું છે. આ પ્રોગ્રામના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાઈ એવા શુભ હેતુથી આખા ગુજરાતમાં એક શાંતિ રથ ગામો ગામ ફરી રહ્યો છે. લોકોને આ અશાંતિના વાતાવરણમાંથી બહાર નીકળી, શાંત ચિત બની, પોતાનું મન શાંત બને અને સમગ્ર વિશ્વમાં શાંતિનું દાન આપે એવા હેતુથી બે દિવસથી આ શાંતિ રથ મોરબીમાં ફરી રહ્યો છે, અને લોકોમાં વિશ્વ શાંતિ માટે જાગૃતિ ફેલાવી રહ્યો છે. જે રથનું આગમન થતાં તેનું ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:26 am

ગામના રસ્તાની હાલત સુધરશે‎:મોરબી મનપામાં સમાવિષ્ટ 9 ગામમાં 2.59 કરોડના ખર્ચે રોડની મરામત શરૂ

મોરબી મહાપાલિકામાં ભળેલ રવાપર, મહેન્દ્રનગર, લીલાપર, ભડીયાદ, ત્રાજપર, માધાપર ઓજી, ઇન્દિરાનગર, જવાહરનગર, શકત શનાળા મળી ૯ ગ્રામ પંચાયત વિસ્તારોમાં રૂ.૨.૫૯ કરોડના વિવિધ રોડના કામો શરૂ કરવામાં આવ્યા છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા ૯ ગ્રામ પંચાયતોમાં રહેલા સ્વભંડોળ અંતર્ગત ગ્રામ પંચાયતના થયેલ ઠરાવ અન્વયે કામોની તાંત્રિક તથા વહીવટી મંજુરી આપી ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી રૂ.૧૦.૧૬ લાખના ખર્ચે નાની વાવડી ખાતે સાંતી નગર સોસાયટીમાં પેવર બ્લોકનું કામ. રૂ.૧૯ લાખના ખર્ચે કરવામાં આવશે. મહેન્દ્રનગર ખાતે સાગર ડેરીથી શંકરભાઈના ડીપો સુધી પેવર બ્લોકનું કામ. રૂ.૧૩.૮૬ લાખના ખર્ચે ઇન્દીરાનગર ખાતે પાણીના સંપથી દરબારની દુકાન સુધી પેવર બ્લોકનું કામ. રૂ.૪૬.૮૧ લાખના ખર્ચે રવાપર વિસ્તારમાં રામેશ્વર એપા.થી તપસ્યા એપા. સુધી સી.સી.રોડ, રૂ.૨૪.૩૫ લાખના ખર્ચે લીલાપર વિસ્તારમાં ગુરુદેવ સોસાયટી પાસે સી.સી.રોડનું કામ. રૂ.૧૫.૨૪ લાખના ખર્ચે ત્રાજપર વિસ્તારમાં હનુમાનજી મંદિર થી ઘુંઢ રોડ સુધી પેવર બ્લોકનું કામ કરવામાં આવશે. રૂ.૧૫.૦૧ લાખના ખર્ચે ત્રાજપર વિસ્તારમાં મેલડીમાના મંદિરથી ઘુંટુ રોડ સુધી પેવર બ્લોકનું કામ, રૂ.૮.૮૯ લાખના ખર્ચે ભડિયાદ વિસ્તારમાં રાજુભાઈ મોહનભાઈ વ્યાસના ઘરથી પંચવટી સુધી પેવર બ્લોકનું કામ. રૂ.૩.૯૧ લાખના ખર્ચે શનાળા વિસ્તારમાં કૃષ્ણ ચોક અને જુદી જુદી શેરી માં પેવર બ્લોકનું કામ, રૂ.૯.૨૩ લાખના ખર્ચે શનાળા વિસ્તારમાં સીન્ડી વાસ અને જુદી જુદી શેરી માં પેવર બ્લોક નું કામ અને રૂ.૯૨.૬૨ લાખના ખર્ચે અમરેલીથી બાયપાસ સુધી ડામર રોડનું કામ આમ કુલ ૧૧ કામોની અંદાજીત રકમ રૂ.૨૫૯.૦૦ લાખના થાય છે. આ તમામ કામો હાલ પ્રગતિ હેઠળ છે જે ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. તેમ મહાપાલિકાની સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખાની યાદીમાં જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:24 am

પ્રદૂષણ ફેલાવતા બાંધકામ સ્થળો સામે મનપાની લાલ આંખ:મોરબીમાં ચાલતી બાંધકામ સાઇટનું સરપ્રાઇઝ ચેકિંગ, નિયમભંગ બદલ 15,800નો દંડ કરાયો

મોરબી ઔદ્યોગિક રીતે સમૃદ્ધ થવાની સાથે પાછલા દરવાજેથી પ્રદૂષણનો ગંભીર પ્રશ્ન પ્રવેશી ગયો છે. ત્યારે શહેરમાં બાંધકામની આડમાં પ્રદૂષણ ફેલાવતા બાંધકામના સ્થળો સામે લાલ આંખ કરી છે. જન આરોગ્ય સાથે ચેડાં કરીને પ્રદૂષણ ફેલાવતા બાંધકામ સાઇટના જવાબદારો સામે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. મોરબી મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાએ રાજ્ય સરકારના નિર્દેશો હેઠળ શહેરમાં ચાલતી બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રદૂષણ નિયંત્રણને લઈને વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં શહેરમાં નોંધાયેલી કુલ 133 બાંધકામ સાઈટમાંથી 55 સાઈટમાં ચેકિંગ કર્યું હતું. આ ચકાસણી દરમિયાન પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું ઉલ્લંઘન કરનારી સાઈટ પાસેથી મોરબી મહાનગરપાલિકાએ કુલ રૂ.18,800 જેટલી રકમનો દંડ ફટકાર્યો હતો. મનપાએ તમામ બાંધકામ માલિકો અને કોન્ટ્રાક્ટરને પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું સખત પાલન કરવાની તાકીદ કરી છે. આ નિયમોમાં મુખ્યત્વે બાંધકામ સ્થળે ગ્રીન નેટ-કવર લગાવવું, સિમેન્ટ-રેતી જેવી સામગ્રીને ઢાંકી રાખવી, સાઈટમાંથી નીકળતા વાહનો માટે વ્હીલ વોશિંગની વ્યવસ્થા કરવી, ટ્રકમાં માલને કવર કરીને હેરાફેરી કરવી, નિયમિત પાણીનો છંટકાવ કરવો વગેરે સુચનાનું પાલન કરવા સૂચના આપી છે. કામદારો માટે સેફ્ટી સાધનો માસ્ક, ગોગલ્સ, હેલ્મેટ ઉપલબ્ધ કરાવવા, ધ્વનિ પ્રદૂષણના નિયમોનું પાલન કરવાનું ફરજિયાત છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:23 am

મંડે પોઝિટીવ:મોરબીમાં વણકર સમાજ દીકરા દીકરીનું વેવિશાળ અડધી ચામાં જ આટોપી લે અને એ ખર્ચ પણ સહિયારો જ ભોગવે છે

દરેક વ્યક્તિને લગ્ન કે સગાઈ જેવો પ્રસંગ જીવનભર યાદગાર સંભારણું બની જાય તેવી મહેચ્છા હોય છે. પરિણામે હવે લગ્નો તો ઠીક સગપણમાં પણ લખલૂંટ ખર્ચા થાય છે, દેખાદેખીમાં સામાન્ય, મધ્યમવર્ગ ગજા બહારના ખર્ચા કરી નાખે છે. ત્યારે આવા બધા લોકોને બોધપાઠ અને પ્રેરણા મળે તેવી બેમિસાલ સામાજિક પરંપરા મોરબીમાં સામે આવી છે. જેમાં વણકર સમાજ પોતાના દીકરા કે દીકરીનું સગપણ માત્ર અડધી ચા માં જ સંપન્ન કરે છે. જો કે આજના હાઈટેક અને મોંઘવારીના જમાનામાં આ વાત કોઈને કદાચ ગળે ન ઉતરે અને કલ્પનાશીલ લાગે.પણ આ બાબત દિવાસ્વપ્ન કે કલ્પના નહિ હકીકત છે. ચા નો ખર્ચ પણ બન્ને પક્ષ ભોગવે‎અમારા સમાજ દ્વારા આજે પણ એકદમ સદાયથી સગાઈ વિધિ કરવામાં આવે છે. સગાઈમાં જેવો પરિવાર એ પ્રમાણે લોકો આવે છે. સરેરાશ જોઈએ તો વધીને આશરે બન્ને પક્ષના 300 લોકો ભેગા થાય છે. જો કે આ માત્ર અડધી ચા જ પીવડાવવાની હોય વધુ લોકો ભેગા થાય તો પણ ચિંતા જેવું રહેતું નથી. સૌથી મહત્વની બાબત એ છે કે સગાઈમાં જેટલા લોકો આવ્યા હોય એ તમામને ચા પીવડાવવામાં આવે છે એ કોઈ એક પક્ષ એટલે કન્યા કે વર પક્ષ તરફથી ચા નો ખર્ચ ભોગવવાનો નથી હોતો. પણ ચા નો જેટલો ખર્ચ થયો હોય એનો બન્ને પક્ષ બરાબર રીતે અડધા ભાગે ભોગવે છે. જો કે અમુક પૈસે ટકે સુખી પરિવારો સમાજની વાડીમાં સગાઈ કરે છે. પણ એમાં માત્ર ચા પાણી અને નાસ્તો જ હોય છે. ગોપાલભાઇ સોલંકી, સામાજિક અગ્રણી મોટાભાગે કન્યા કે સ્ત્રીઓ હાજર ન રહે‎સમાજની વર્ષોથી ચાલી આવતી સગાઈ જેવી સામાજિક પરંપરામાં જમાના પ્રમાણે થોડું પરિવર્તન આવ્યું છે. વધુને વધુ યુવાનો સુશિક્ષિત બની રહ્યા હોય તેમને સગાઈ ભલે સાદાયથી થાય એની સામે કોઈ વાંધો નથી હોતો. પણ પોતાની સગાઈમાં પોતે હાજર રહીને આ અવસર માણી શકે તેવું યુવાનોનું શમણું હોય છે. આથી તેમની આ લાગણીને સમાજે પણ માન આપીને આશરે બે દાયકાથી કેસરબાગમાં સગાઈમાં ભાવિ વરરાજાને હાજર રખાય છે. પરંતુ હજુ કન્યા કે સ્ત્રીઓ હાજર રહેતી નથી. સુરેશભાઇ ચાવડા, જાગૃત આગેવાન એકબીજાના ઘરે નહીં, સમૂહમાં બેસી સગપણ જાહેર કરે‎મોરબીના વણકર સમાજ સંતાનોની સગાઈ ઘરે નહિ પણ બહાર જાહેરમાં એટલે કેસરબાગમાં જ કરે છે. પહેલાં બન્ને પક્ષ દીકરા, દીકરી તેમજ, ઘર, પરિવારના સંસ્કારો, સામાજિક ઢાંચો જોઈ કેસરબાગમાં સગાઇ કરવાનું નક્કી કરે છે. એમાં આમંત્રણ પત્રિકા નહિ પણ અગાઉ રૂબરૂ પણ હવે ફોનથી સગા સંબંધીઓ હાજર રહેવાનું કહી દેવાય છે. પછી સગાઈની નક્કી કરેલી તારીખે બન્ને પક્ષના લોકો કેસરબાગમાં એકઠા થાય છે અને સમૂહમાં બેસી ગોર મહારાજ નાળિયેર અને રૂપિયો ઝલાવી બધા વચ્ચે ઉભા થઈ મોટેથી નામ ઠામ બોલીને જે તે પરિવારના દીકરા દીકરી આજથી સગાઈના પવિત્ર બંધને બંધાયા એવું જાહેર કરે છે. બાદમાં બન્ને પક્ષના સગા સ્નેહીઓ વારંફરતી એકબીજાનું મીઠાઈ નહિ પણ માત્ર નાની સાકરની કણીથી મોઢું મીઠું કરાવે છે. તેમજ બધા લોકો અડધી ચા પીને છુટા પડે છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:21 am

ટાસ્ક ફોર્સનો સપાટો:10 દિવસમાં 15 કાર્યવાહી

કચ્છના પેટાળમાં પુષ્કળ પ્રમાણમાં ખનીજ ધરબાયેલું છે. પણ જેટલું ખનીજ કાયદેસર નીકળે છે, તેના ત્રણ ગણા ખનીજની ગેરકાયદેસર રીતે ચોરી થાય છે. છેલ્લા દોઢ દાયકામાં કચ્છમાં ખનીજ ચોરીની પ્રવૃત્તિ બેધડક ધમધમી રહી છે. ત્યારે હવે તેને અંકુશમાં લેવા માટે કચ્છ કલેકટર આનંદ પટેલે ટાસ્ક ફોર્સની રચના કરી છે. જેમાં ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ, ફલાઈગ સ્કવોર્ડ, સર્વેયર અને રેવન્યુ તંત્રના અધિકારીઓને સમાવાયા છે. આ ટાસ્ક ફોર્સની રચના પાછળનું મુખ્ય કારણ એ છે કે કચ્છ દેશનો સૌથી વિશાળ જિલ્લો છે, જયારે કોઈ જગ્યાએ ખનીજ ચોરીના ઈનપુટ ખાણ-ખનીજ વિભાગને મળે અને ટીમ ભુજ અને અંજારથી કોઈ તાલુકામાં થતી ખનીજ ચોરી અટકાવવા માટે પહોંચે તે પહેલા જ ઘટના સ્થળ પરથી તમામ વાહનો રફુચક્કર થઇ જતા હતા. એટલે હવે આ ટાસ્ક ફોર્સમાં દરેક તાલુકા લેવલના અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી તે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોચીને કાર્યવાહી કરી શકશે. સાથે જ ખનીજ ચોરીના સ્થળ પર જ માપણી કરી શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. છેલ્લા દસ દિવસમાં ટાસ્ક ફોર્સ દ્વારા 15 જેટલી કાર્યવાહી કરીને 20 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. આ વાહનો સામે દંડની કાર્યવાહી માટે આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. કચ્છમાં મોટા ભાગે રોયલ્ટી વિના જ ખનીજ પરિવહનની પ્રવૃત્તિ વધી રહી છે. તેને રોકવા માટે કચ્છનું વહીવટી તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે. અગાઉ ખાણ-ખનીજ વિભાગ કાર્યવાહી કરતું હતું, બાદમાં ફલાઈગ સ્કવોર્ડ દ્વારા પણ સપાટો બોલાવાયો છતાં ખનીજ ચોરી યથાવત રહી, ત્યારે હવે કલેકટરે તમામ વિભાગના કર્મચારીઓને સાથે રાખીને ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ બાબતે કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે કચ્છમાં બિન અધિકૃત રીતે થતી ખનીજ ચોરીને અટકવવા માટેનો આ પ્રયાસ છે, જેમાં તમામ વિભાગના અધિકારીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. દસ દિવસમાં ટાસ્ક ફોર્સ દ્વારા 15 જેટલી કાર્યવાહી કરવામાં આવી છે. અને તંત્રનો પ્રયાસ છે કે કચ્છમાં ખનીજ ચોરીના દુષણને નાબુદ કરવા બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખનીજ માફિયા અધિકારીઓના ઘરે કરી રહ્યા છે રેકીખનીજ ચોરી સાથે સંકળાયેલા ખનીજ માફિયાનું નેટવર્ક ખુબ જ મજબુત હોય છે, અને તે અધિકારીઓની રેકી કરતા હોવાનું પણ સામે આવ્યું છે. ટાસ્ક ફોર્સ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા અમુક દિવસોથી ખનીજ માફિયા મારા ઘરની અને મારી રેકી કરતા હોવાનું જણાઈ આવ્યું છે. આ બાબતે કલેકટર આનંદ પટેલે પણ જણાવ્યું હતું કે ખનીજ ચોરી કરતા લોકો રેકી કરાવતા હોય છે પણ અમારી પ્રાથમિકતા ખનીજ ચોરીને રોકવાની છે. ખનીજ ચોરી થતી હોય તો આ નંબર પર સંપર્ક કરોખનીજ ચોરી અંગે નાગરિકો માહિતી આપી શકે તે માટે કચ્છ વહીવટી તંત્ર દ્વારા બે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મો.8758979966 અને 7016315455 આ નંબર પણ નાગરિકો માહિતી આપી શકે છે. કલેક્ટરે જણાવ્યું છે કે, નાગરિકો મુક્તપણે ખનીજ ચોરીની માહિતી આપી શકે છે અને માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:15 am

નાસિક નજીક અકસ્માત:દર્શને જઈ રહેલા 6 કચ્છી પાટીદારના કરૂણ મોત

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં રવિવારે સાંજે વાણી ગામ નજીક સર્જાયેલા એક ગોઝારા અકસ્માતમાં 6 કચ્છી પાટીદાર વ્યક્તિઓના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થતાં અરેરાટી ફેલાઈ ગઈ છે. માતાજીના દર્શને જઈ રહેલી કાર 1200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી પડતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર છ વ્યક્તિઓ મૂળ કચ્છના રહેવાસી હતા, જે હાલ નાસિક, ગાંધીધામ અને પૂણેમાં રહેતા હતા. મૃતકોમાં કીર્તિભાઈ સાંખલા (ઉં.વ. 55) અને તેમના પત્ની રસીલાબેન (ઉં.વ. 55) – મૂળ નખત્રાણા તાલુકાના ઉખેડા ગામના, હાલ પિપળગાંવ, નાસિક, વિઠ્ઠલભાઈ લીંબાણી (ઉં.વ. 60) અને તેમના પત્ની લતાબેન (ઉં.વ. 60) – મૂળ રસલિયા ગામના, હાલ ગાંધીધામ રહેતા વેવાઈ.પચાણભાઈ પટેલ (ઉં.વ. 65) અને સાસુ મણીબેન પટેલ (ઉં.વ. 65) – મૂળ મથલ ગામના, હાલ પૂણે રહેતા કીર્તિભાઈના સાસુ-સસરાનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, કીર્તિભાઈ સાંખલા તેમની ઈનોવા ગાડી લઈને સાસુ-સસરા અને ગાંધીધામવાળા વેવાઈ સાથે સહ્યાદ્રી પર્વતમાળાની ટોચ પર સ્થિત સપ્તશ્રૃંગી માતા મંદિરના દર્શને જઈ રહ્યા હતા. આ ખતરનાક ઘાટ પર ગાડી પરનો કાબૂ ગુમાવતા કાર 1200 ફૂટ નીચે ખાઈમાં પલટી ખાઇ ગઇ હતી. કોઈ મદદ મળી શકે તે પહેલાં જ ગાડીમાં સવાર તમામ છ વ્યક્તિઓનું સ્થળ પર જ મોત થયું હતું. આ ગોઝારા અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને એનડીઆરએફની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતની ખબર ફેલાતાં જ સમગ્ર ભારતભરમાં રહેતા કચ્છ કડવા પાટીદાર સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:14 am

ક્રેડિટ સ્કોર કરો તો CIBIL ઘટી જાય?:લોન અને CIBILની 6 મોટી ગેરસમજણ, લોન 'સેટલ' કરવી ફાયદાકારક છે? 3 ચીજથી સ્કોર સુધરશે!

શું તમને બીક લાગે છે કે મોબાઈલમાં વારંવાર CIBIL સ્કોર ચેક કરશો તો તમારો સ્કોર ઘટી જશે? શું તમે માનો છો કે પગાર વધશે એટલે ક્રેડિટ સ્કોર આપોઆપ વધી જશે? જો તમારો જવાબ 'હા' છે, તો તમે એક મોટી ગેરસમજણનો શિકાર છો... ભારતમાં 45% થી વધુ લોકો ક્રેડિટ સ્કોરની પૂરતી સમજ નથી ધરાવતા. આજે ભાસ્કર એક્સપ્લેનરમાં આપણે લોન અને ક્રેડિટ સ્કોર સાથે જોડાયેલી આવી જ ગેરમાન્યતાઓ અને તેના સત્ય વિશે વાત કરીશું. શું જાતે સ્કોર ચેક કરવાથી સ્કોર ઘટે? આ સૌથી મોટી અફવા છે. સત્ય એ છે કે તમે જ્યારે જાતે CIBIL સ્કોર ચેક કરો છો, તેને 'સોફ્ટ ઈન્ક્વાયરી' (Soft Inquiry) કહેવાય છે. જેમ અરીસામાં સેલ્ફી લેવાથી ચહેરા પર ડાઘ નથી પડતા, એવી જ રીતે જાતે સ્કોર જોવાથી તેને કોઈ નુકસાન થતું નથી. પરંતુ હા, જો તમે ટૂંકા સમયમાં 4-5 અલગ-અલગ બેંકોમાં લોન માટે અરજી કરો છો, તો બેંક જે તપાસ કરે છે તેને 'હાર્ડ ઈન્ક્વાયરી' (Hard Inquiry) કહેવાય છે. તેનાથી તમારો સ્કોર ચોક્કસ ડાઉન થઈ શકે છે. લાખોની કમાણી તો સ્કોર સારો? ઘણા લોકો એવું માને છે કે હું લાખો કમાઉં છું અને રોજ ડેબિટ કાર્ડ વાપરું છું, એટલે મારો સ્કોર તો સારો જ હશે. જવાબ છે- ના. ક્રેડિટ બ્યૂરોને તમારી આવક કે ડેબિટ કાર્ડના વપરાશ સાથે કોઈ લેવાદેવા નથી. ડેબિટ કાર્ડ એટલે તમારા જ જમા પૈસા વાપરવા, જેમાં કોઈ 'ઉધાર' નથી. ક્રેડિટ સ્કોર વધારવા કે બનાવવા માટે તમારી પાસે લોન કે ક્રેડિટ કાર્ડ (ક્રેડિટ હિસ્ટ્રી) હોવી જરૂરી છે. આવક તમારી 'ક્ષમતા' બતાવે છે, જ્યારે ક્રેડિટ સ્કોર તમારી 'દાનત' બતાવે છે. લોનમાં 'ગેરન્ટર' બનતા પહેલા સો વાર વિચારજો શું તમે તમારા મિત્ર કે સગાની લોનમાં જામીન એટલે કે ગેરન્ટર બનો છો? યાદ રાખજો, ગેરન્ટર થવું એટલે લોન તમારા નામે જ લેવી. કાયદાકીય રીતે તમે તેટલા જ જવાબદાર છો. જો તમારો મિત્ર હપતો નહીં ભરે, તો ડિફોલ્ટ તમારા રિપોર્ટમાં પણ બોલશે અને ભવિષ્યમાં તમને કોઈ લોન નહીં આપે. 'સેટલમેન્ટ' એટલે સ્માર્ટનેસ કે નાદારી? જો તમે લોન ભરી શકતા નથી અને બેંક કહે કે થોડા પૈસા ભરીને લોન 'સેટલ' કરી દો, તો ક્યારેય હા ન પાડતા. બેંકની ભાષામાં 'સેટલમેન્ટ' એટલે નાદારી. જો તમારા રિપોર્ટમાં એકવાર 'Settled' લખાઈ ગયું, તો આવનારા 7 વર્ષ સુધી બીજી કોઈ બેંક તમને લોન કે ક્રેડિટ કાર્ડ નહીં આપે. હંમેશા લોન પૂરી ભરીને 'ક્લોઝ' (Close) કરવાનો આગ્રહ રાખો, 'સેટલ' નહીં. સ્કોર સુધારવા માટેની 3 સ્માર્ટ ટિપ્સ જો તમારો સ્કોર ઓછો છે, તો આટલું ધ્યાન રાખો: આટલું ખાસ યાદ રાખો જો તમને લાગે કે તમારા CIBIL રિપોર્ટમાં કોઈ ભૂલ છે, તો ગભરાવાની જરૂર નથી. તમે CIBIL ની વેબસાઈટ પર જઈને ફ્રીમાં ફરિયાદ (Dispute) નોંધાવી શકો છો. નાણાકીય શિસ્ત જ તમારો સાચો ક્રેડિટ સ્કોર છે. દિવ્ય ભાસ્કર માટે સમીર પરમારનો રિપોર્ટ. વધુ માહિતી માટે વીડિયો જુઓ

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:05 am

મંડે પોઝિટીવ:જાવાવાંઢ પ્રાથમિક શાળાની વેસ્ટમાંથી બેસ્ટની આવકારદાયક પહેલ

રાપર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં સ્થિત જાવાવાંઢ પ્રાથમિક શાળાએ વેસ્ટમાંથી બેસ્ટ અભિયાન અંતર્ગત સર્જનાત્મકતા, નવીનતા અને પર્યાવરણપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉપયોગ પછી બાકી રહેલા L.E.D.ના ખોખાના પફને ફરી ઉપયોગમાં લઈને તૈયાર કરાયેલા આકર્ષક સેલ્ફી ઝોનને હાલ સમગ્ર તાલુકામાં પ્રશંસા મળી રહી છે. આ પહેલમાં શાળાના આચાર્ય વસીમભાઈ મન્સૂરીનું માર્ગદર્શન, દૃષ્ટિકોણ રહ્યો હતો. શાળાનું સમગ્ર શિક્ષકમંડળ સહયોગી ભાવથી કાર્ય કરીને શૈક્ષણિક અને મૂલ્ય આધારિત પ્રવૃત્તિઓને અનુરૂપ દિશામાં આગળ ધપાવી રહ્યું છે. તાલુકા પ્રા.શિક્ષણ અધિકારી સામતભાઈ વસરા અને તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ ભરતસિંહ પરમારે આચાર્ય અને સમગ્ર શિક્ષકમંડળ શબાનાબાનુ મન્સુરી, પંકજકુમાર ચૌહાણ, હર્ષદકુમાર પટેલને અભિનંદન પાઠવ્યા હતા. પલાસવા સરપંચ કિશનસિંહ ખોડએ શાળાને જરૂરી તમામ મદદ કરવાની ખાત્રી આપી હતી. શાળાની આ વર્ષની શૈક્ષણિક સિદ્ધિઓમાં ચિત્ર પરીક્ષામાં તમામ છાત્રો પાસ, CETમાં નોંધપાત્ર ઉમેદવારી અને સફળતા, જ્ઞાનસાધના પરીક્ષામાં એક વિદ્યાર્થી જિલ્લા મેરિટમાં સ્થાન પામ્યો, શાળામાં બાળકો ડ્રોપ આઉટ રેસીયો શૂન્ય પર લાવી સો ટકા નામાકન, પર્યાવરણ પ્રત્યેની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા બદલ શાળાને પર્યાવરણ સંરક્ષક એવોર્ડ પ્રાપ્ત. પક્ષીભવન, કિચન ગાર્ડન અને સ્વચ્છ પરિસર. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધા, સમગ્ર શાળા CCTV સાથે સુરક્ષિત, કન્યાઓ માટે અલગ ટોયલેટ બ્લોક, આચાર્ય વસીમભાઈ મન્સૂરીને પર્યાવરણ સંરક્ષક તરીકે રાજ્યસ્તરીય એવોર્ડ જેવી સિદ્ધિઓ શાળાએ મેળવી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:01 am

300 બોટ કિનારે લાગી, પ્રવાસીઓના મોઢા વીલા, નળસરોવર સુમસાન:સરકારની SOP અને બોટ સંચાલકોની ખેંચતાણમાં વિદેશી પક્ષીઓને નિહાળવાની મજા બગડી, આ વખતની સિઝન પણ ફેલ

બોટમાં બેસીને વિદેશી મહેમાન એટલે કે રંગબેરંગી વિવિધ પક્ષીઓનો કલવર સાંભળવો અને નજીકથી નિહારવા એ છે નળસરોવરની ઓળખ. આ વખતે ડિસેમ્બર મહિનાની ફૂલ ગુલાબી ઠંડી જામી ગઈ છે. પણ અમદાવાદથી માંડ 60 કિલોમીટર દૂર આવેલા આ કુદરતી પર્યટન સ્થળે સ્થિતિ જરા અલગ છે. કિનારેથી નજર જ્યાં સુધી પહોંચે ત્યાં સુધીની જ પક્ષીદર્શન શક્ય, કારણ કે નળસરોવરમાં પ્રવાસીઓને લઈને બોટ ચલાવવા પર પ્રતિબંધ છે. એટલે જ વિદેશી પક્ષીઓને નજીકથી નિહારવાના ઉમળકા સાથે પરિવાર સાથે આવતા લોકો નિરાશ થઈને વિલા મોઢે પાછા ફરી રહ્યા છે. કાયદા અને નિયમોની આંટીઘૂંટીમાં નળસરોવરની મોજ કેમ ઝાંખી પડી છે? સરકાર, બોટ સંચાલકોના મનમાં પ્રશ્નો શું છે અને અહીં પહોંચતા પ્રવાસીઓ કેવી અપેક્ષા રાખી રહ્યા છે? એ સમજવા માટે દિવ્ય ભાસ્કરે ગાંધીનગરમાં વનવિભાગની ઓફિસથી લઈને નળસરોવર ખાતે જઈ ગ્રાઉન્ડ રિયાલિટી જાણી. વાત જોડાયેલી છે વડોદરાની ઘટના સાથે. જાન્યુઆરી 18, 2024ના રોજ વડોદરાના હરણીમાં વિદ્યાર્થીઓ ભરેલી બોટ ડૂબી હતી. આ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં બોટિંગ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ પ્રવાસીઓની સુરક્ષા માટે કડક નિયમો સાથે નવી SOP જાહેર કરી છે. આ SOPનું ચુસ્ત પાલન થાય તો જ બોટિંગ શરૂ કરી શકાય તેમ જાહેર કરાયું છે. એમાં જ નળસરોવરમાં પેચ ફસાયો. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, નળ સરોવરમાં પણ નવા નિયમો, જેમાં લાઇફ જેકેટ, બોટમાં પ્રવાસીઓની મર્યાદિત ક્ષમતા અને પ્લાસ્ટિક પ્રતિબંધ જેવા મુદ્દાઓનું પાલન ફરજિયાત છે. મદદનીશ વન સંરક્ષક નરેશભાઈ પટેલે જણાવ્યું કે પોર્ટ અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નવી SOP ઘડવામાં આવી છે. જેમાં બોટની કેરિંગ કેપેસિટીનું પાલન, સેફટી જેકેટ, બોટમેન પાસે ફિટનેસ સર્ટિફિકેટનો ઉલ્લેખ છે. નળ સરોવરમાં બોટમેન પાસેથી રજિસ્ટ્રેશન પણ અમલીકરણ કરાવવામાં આવશે. હરણી દુર્ઘટના બાદ બોટિંગ પર પ્રતિબંધ મુકાયો તો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટના હસ્તક્ષેપથી સરકારે બોટિંગ માટે નવી મંજૂરી આપી હતી. તંત્ર દ્વારા બોટ માટે SOP ઘડી કાઢવામાં આવી છે અને અરજી કર્યા બાદ બોટમાલિકોને મંજૂરી આપવામાં આવી રહી છે. આ પરિસ્થિતિને લીધે નળ સરોવર પાસેના લગભગ 15 ગામના 300થી વધુ બોટમેન અને ત્યાંના નાના વ્યવસાયો પર ગંભીર અસર પડી છે. લાંબા સમય સુધી બોટિંગ બંધ રહેવાને કારણે આશરે 1500 લોકોની રોજીરોટી બંધ છે. કારણ કે નિયમો બનાવ્યા પછી મુશ્કેલી એ ઉભી થઈ કે સરકારના નીતિ-નિયમ વાળી નવી બોટની કિંમત અંદાજે 80,000થી 90,000 રૂપિયા છે. સરકાર દ્વારા નાવિક માલિકોને આ નવી બોટ ખરીદવા માટે લોન સહાયની ખાતરી આપવામાં આવી છે, આમ છતાં, સ્થાનિક નાવિક માલિકો આટલી મોંઘી બોટ ખરીદવા તૈયાર નથી અને તેઓ પોતાની જૂની બોટો મારફતે જ નૌકા વિહાર ચાલુ રાખવા માગ કરી રહ્યા છે. બીજી તરફ, વન વિભાગ સુરક્ષાના કારણોસર જૂની બોટોને મંજૂરી આપવા તૈયાર નથી. અમે નળસરોવર બોટ એસોસિએશનના પ્રમુખ હાજીભાઇ ઉસ્માનભાઈ સમાને મળ્યા. તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો કે બોટ સંચાલકો શા માટે સરકારના નિયમો મુજબ સરકારી સહાય મેળવીને નવી બોટ ખરીદવા માટે તૈયાર નથી? હાજીભાઈ સમાએ જણાવ્યું, 300 બોટમાંથી આશરે 200 બોટને રૂ. 15,000 જેવો ખર્ચ કરીને ફાઇબર અને રંગરોગાન સાથે નવી બોટ જેવી બનાવી છે અને તેનું રજિસ્ટ્રેશન થઈ શકે તેમ છે. અમે કલેક્ટર કચેરી, IRS અને GMDમાં રજૂઆત કરી છે. તેમને સરકારની ગાઇડલાઇન મુજબ તમામ ડોક્યુમેન્ટ જેવા કે IRS સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ, સેફ્ટી જેકેટ અને ટૂરિસ્ટ બેસાડવાની ક્ષમતાના દસ્તાવેજો એકઠા કરી કલેક્ટર કચેરીમાં રજૂ કરી લાયસન્સ મેળવવાની સૂચના મળી છે. નળ સરોવરની આસપાસના વેકરીયા, મેની, ધરજી, રાણાગઢ સહિતના 14 જેટલા ગામોના 500થી વધુ પરિવારોનું નળસરોવરના પ્રવાસી દ્વારા ગુજરાન ચાલે છે. આ ગામના લોકો નાવ ચલાવીને, નાસ્તાના સ્ટોલ લગાવીને તેમજ ઘોડેસવારી થકી કમાણી કરે છે. બોટિંગ અને ઘોડેસવારી પણ બંધ થવાથી પ્રવાસીઓ ઘટ્યા છે અને આ પરિવારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. તેમની આવકનો મુખ્ય આધાર શિયાળાની 3-4 મહિનાની પ્રવાસન સીઝન પર રહેલો છે. બોટિંગ બંધ થવાથી પર્યટકોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે વન વિભાગ અને રાજ્ય સરકારને પ્રવેશ ફી અને બોટિંગ ફી દ્વારા થતી આવકમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. પ્રવાસીઓ, પક્ષી નિરીક્ષકો અને વન્યજીવ ફોટોગ્રાફરો દૂર-દૂરથી આવે છે, પરંતુ બોટિંગ વિના તેઓ યાયાવર પક્ષીઓને નજીકથી જોઈ શકતા નથી. પ્રવાસીઓની માગ છે કે સરકાર સુરક્ષાના પગલાં સાથે જલદીમાં જલદી બોટિંગ સેવાઓ ફરી શરૂ કરે. કારણ કે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં હજુ વધુ વિદેશી પક્ષીઓનું આગમન થશે, જેને જોવા માટે નૌકા વિહાર જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:00 am

દુબઈ અને મુંબઈને આંટી જશે અમદાવાદ, ગુજરાતનું બુર્જ ખલીફા બનશે:સ્કાય સિટી બની વિશ્વમાં ડંકો વગાડશે, 100 મીટરથી ઉંચી 31 બિલ્ડિંગનું કામ ટોપ ગિયરમાં

શાંઘાઈ, દુબઈ અને મુંબઈ. આ ત્રણેય શહેરની જો કોઈ કોમન ઓળખ આપવી હોય તો એ કે હાઇરાઇઝ બિલ્ડિંગ. જેમ જેમ દેશનો વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ ગગનચુંબી ઇમારતો વધી રહી છે. હવે આ ટ્રેન્ડ ગુજરાતમાં પણ શરૂ થયો છે. આ પ્રકારની બિલ્ડિંગ્સનું એક અલગ જ આકર્ષણ હોય છે. જ્યારે તેની પાસેથી નીકળીએ અને એક નજર કરો તો પણ મોહીત થયા વિના રહેવાશે નહીં. દિવ્ય ભાસ્કર સ્કાય સિટી બનવા જઈ રહેલા અમદાવાદની 31 હાઇરાઇઝ અને તેમાંની સૌથી ઉંચી 10 બિલ્ડિંગ અંગે જણાવી રહ્યું છે. જેમાં હાઇટથી લઈ લોકેશન સુધીની વિગતો આવરી લેવામાં આવી છે. અમદાવાદમાં બની રહ્યું છે રાજ્યનું બુર્જ ખલીફા ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં રાજ્યનું બુર્જ ખલીફા એટલે કે સૌથી ઊંચું બિલ્ડીંગ બનવા જઈ રહ્યું છે. નવરત્ન ગુલમહોર પાર્ક પ્રોજેક્ટ દ્વારા લગભગ 162 મીટરની ઉંચાઈ અને 38 ફ્લોરની સૌથી ઊંચું બિલ્ડિંગ સેટેલાઇટ પોલીસ સ્ટેશન સામે બનવાની છે. આ અત્યાર સુધીનો પહેલો મિક્સ યુઝ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ છે. કારણ કે આ સૌથી ઊંચી બિલ્ડિંગમાં રિટેલ, કોમર્શિયલ અને રેસીડેન્સીયલ ત્રણેય ડિમાન્ડને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. દુનિયાના વિવિધ દેશમાં જે પ્રમાણેની બિલ્ડિંગ જોવા મળી રહી છે. તે પ્રકારની જ બિલ્ડિંગ હવે અમદાવાદમાં પણ જોવા મળશે. નવરત્ન ગ્રુપ દ્વારા દુનિયાને પણ ટક્કર મારે તેવી બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે. જમીનના ભાવની સાથે ઊંચી બિલ્ડીંગ પણ વધી રહી છે: નવરત્ન ગ્રુપઆ અંગે નવરત્ન ગ્રુપના એમડી પ્રણવ શાહે જણાવ્યું હતું કે, જમીનના ભાવ વધી રહ્યા છે તે પ્રમાણે ઊંચી બિલ્ડીંગ પણ વધી રહી છે. જમીન કેટલા ફૂટના રોડ પર આવેલી છે તેના પરથી કોઈપણ બિલ્ડીંગની હાઈટ નક્કી થઈ રહી છે. જેથી હાઈ રાઈઝ અને એમાં પણ આઇકોનિક બિલ્ડિંગ બનાવવા માટે લોકો આકર્ષાઈ રહ્યા છે. હાઈરાઈઝ બિલ્ડિંગ અને આઇકોનિક બિલ્ડીંગનો ટ્રેન્ડ વધી રહ્યો છે.અમે અમારો મોલ તોડીને અમદાવાદને સારું બિલ્ડીંગ આપવા માટે જઈ રહ્યા છીએ. 'હવા ઉજાસ સારા રહેતા હોવાથી લોકો ઉંચે રહેવાનું વધુ પસંદ કરે છે'પ્રણવ શાહે વધુમાં જણાવ્યું હતું કે, નવું કંઈક મળે તો લોકોને તે ગમતું હોય છે. યુવાનો દેશ અને દુનિયામાં ફરતા હોય છે. દુનિયાની ઊંચી બિલ્ડીંગોનો અનુભવ તે લોકો લઈ ચૂક્યા હોય છે. જેથી ઘર આંગણે જ દેશ અને દુનિયા જેવી બિલ્ડિંગ મળે તેવી લોકોની અપેક્ષા હોય છે, તેને મેચ કરવા પ્રયાસ કરીએ છીએ. ઊંચાઈ પર ચોખ્ખી હવા મળતી હોય છે, તેમજ હવા ઉજાસ પણ સારા રહેતા હોવાથી લોકો ઊંચાઈ પર રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. તો ઘણા લોકો ઊંચાઈથી ડરતા પણ હોય છે. પરંતુ ઊંચી બિલ્ડીંગ બનાવતા સમયે તમામ બાબતોનું ચોક્કસથી ધ્યાન રાખવામાં આવતું હોય છે. નવા બિલ્ડિંગ કઈ રીતે બની શકે છે તે પણ લોકોને બતાવીશું. હાઈ રાઈઝ બિલ્ડિંગ બનાવવા માટે સ્ટ્રક્ચરલ કમિટીની એપ્રૂવલ ખૂબ જરૂરી હોય છે. આખા બિલ્ડિંગનું સ્ટ્રક્ચર મંજૂર કરાવવું જરૂરી છે. જે બાદ AMC અથવા AUDAમાંથી બિલ્ડિંગ પ્લાન એપ્રૂવલ લેવાનું હોય છે. જે બાદ રેરાની મંજૂરી લઈ વેચાણ શરૂ કરી શકાય છે. આ વિસ્તારોમાં ઉંચી બિલ્ડિંગના પ્રોજેક્ટ આવી રહ્યા છેCREDAI અમદાવાદના સેક્રેટરી અંકુર દેસાઈએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શહેરમાં 150 મીટર હાઇટથી વધુની બિલ્ડીંગ બની રહી છે. સિંધુભવન, આંબલી, બોપલ, થલતેજ અને શીલજ વિસ્તારમાં આવા ઉંચી બિલ્ડીંગના બનવાના પ્રોજેક્ટ આવવાના છે. કોમર્શિયલ અને રેસીડન્ટ બંને પ્રકારના પ્રોજેક્ટ બનશે. જે રીતે રિયલ એસ્ટેટમાં વિકાસ થઈ રહ્યો છે ત્યારે આ પ્રકારના પ્રોજેક્ટ મોટા શહેરોમાં આવવા જરૂરી છે. SG હાઇવે પર સૌથી વધુ ફ્લોરનું ટાઇટેનિયમ વર્લ્ડ સેન્ટર અમદાવાદના એસજી હાઇવે ઉપર ટાઇટેનિયમ વર્લ્ડ સેન્ટર નામની 145 મીટરની સૌથી વધુ 41 માળની બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે એસજી હાઇવે પર રાજપથ રંગોલી ક્લબ રોડ પર નિરમા કોર્પોરેટ હાઉસ 145.7 મીટરની ઊંચાઈ ધરાવતી બિલ્ડીંગનું પણ નિર્માણ થઈ રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી કુલ 31 જેટલી બિલ્ડીંગો બની રહી છે. હજી પણ રાજ્ય સરકારમાં 100 મીટરથી ઊંચાઈની બિલ્ડીંગો બનાવવા માટે 10 જેટલી અરજીઓ સ્ક્રુટીનીગમાં હોવાનું સામે આવ્યું છે. 4 વર્ષમાં 31 હાઇરાઇઝ બિલ્ડિંગને મંજૂરી આપી: ટાઉન પ્લાનિંગ ઓફિસરઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર રમેશ દેસાઈએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શહેરમાં 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી બિલ્ડીંગોને મંજૂરી આપવામાં આવી રહી છે. વર્ષ 2021થી 2025 સુધીમાં 31 જેટલી બિલ્ડિંગો 100થી વધુ મીટરની ઊંચાઈ હોય તેને મંજૂરી આપવામાં આવી છે અને અત્યારે હાલમાં પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેની અરજીઓ આવે છે અને રાજ્ય સરકારમાં સ્ક્રૂટીની માટે મોકલી આપવામાં આવે છે. જે બાદ મંજૂરી આપવામાં આવે છે. 'સુરત-રાજકોટ જેવા શહેરોમાં પણ ઊંચી ઇમારતો બનવા જઈ રહી છે'શહેરમાં હવે દિન પ્રતિદિન ઉંચી ઇમારતો બની રહી છે. જેમાં હવે 150 મીટરથી પણ વધુ ઉંચી બિલ્ડીંગો બનાવવા માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. જેને ટેકનિકલ સમિતિ દ્વારા મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઇવે, સિંધુભવન રોડ, સાયન્સ સીટી, થલતેજ, બોપલ, શીલજ અને ગોતા સહિતના વિસ્તારોમાં 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવનારી બિલ્ડીંગો બની રહી છે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સુરત અને રાજકોટ જેવા શહેરોમાં પણ ખૂબ ઊંચી ઇમારતો બનવા જઈ રહી છે. નવરાત્રિમાં જ 2600થી વધુ મકાન વેચાયાCREDAI અમદાવાદના સેક્રેટરી અંકુર દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે ગત નવરાત્રિમાં 2600થી વધુ મકાન વેચાયા છે. સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી માંથી સરકારને 54.18 કરોડનો વધારો થયો છે. ગત વર્ષે તહેવારોમાં 60218 મિલકતની નોંધણી થઈ હતી. ચાલુ વર્ષે 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધીમાં 62,821 મિલકતના દસ્તાવેજ થયા છે. આમ ગત વર્ષ કરતાં આ વર્ષે 2603 વધુ મિલકતની નોંધણી થઈ છે. મુંબઈને ટક્કર આપવા માટે અમદાવાદ તૈયાર રિયલ એસ્ટેટ રોકેટ ગતિએ એક નવી જ ઊંચાઈ સિદ્ધ કરી રહ્યું છે. મુંબઈની સરખામણી કરવા માટે અમદાવાદ તૈયાર થતું હોય તેવું જોવા મળી રહ્યું છે. કારણ કે મુંબઈ ઊંચી બનાવવાનો ટ્રેન્ડ સૌથી વધુ જોવા મળતો હોય છે. હવે અમદાવાદમાં ધીમે ધીમે એ ટ્રેન્ડ વધી રહ્યો છે. અમદાવાદ દેશભરમાં પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે તૈયાર રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષમાં અમદાવાદમાં પણ ઊંચી બિલ્ડિંગ બનાવવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પ્રદૂષણને ધ્યાનમાં રાખીને 45 માળ સુધીના બિલ્ડીંગ બની રહી છે: ક્રેડાઈગુજરાત ક્રેડાઈના પ્રેસિડેન્ટ તેજસ જોશીએ જણાવ્યું કે, કોવિડ આવ્યા બાદ ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે અને જમીનના ભાવ પણ વધી રહ્યા છે. છેલ્લા 20 વર્ષથી ઊંચી બિલ્ડીંગ પણ બની રહી છે. અમદાવાદમાં પ્રદૂષણ જેવી બાબતો ધ્યાનમાં રાખીને 45 માળ સુધીના બિલ્ડીંગ પણ બની રહ્યા છે. 14 માળથી 45 માળ સુધીના બિલ્ડીંગ અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં થઈ રહ્યા છે. 'કોમનવેલ્થ અને ઓલિમ્પિકના કારણે વર્ટિકલ ગ્રોથ'વધુમાં તેજસ જોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદના બે ત્રણ ડેવલોપર ઊંચી બિલ્ડીંગ બનાવવા માટેની તૈયારી કરી રહ્યા છે, કારણ કે મોટા બિલ્ડીંગની એપ્રૂવલ પ્રક્રિયા અર્બન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. કોમનવેલ્થ અને ઓલિમ્પિકના કારણે વર્ટિકલ ગ્રોથ થઈ રહ્યો છે. જેથી આવનાર દિવસમાં 45થી 60 માળ સુધીના ઘણા બિલ્ડીંગો જોવા મળશે. અત્યારે ઊંચી બિલ્ડીંગ સાયન્સ સિટી રોડ, બોપલ આંબલી રોડ એટલે કે પશ્ચિમ વિસ્તારમાં વધુ જોવા મળે છે. જેથી આ વિસ્તારમાં જ વર્ટિકલ બિલ્ડીંગ સૌથી વધુ જોવા મળશે. કર્ણાવતી ક્લબથી લઈને સોલા ભાગવત સુધી ઊંચી બિલ્ડીંગ જોવા મળી શકે છે. 'ઊંચી ઈમારતોનો બાંધકામનો ખર્ચ 15 માળની ઈમારતો કરતાં વધે છે'જ્યારે નેહા કન્સલ્ટન્ટના માલિક નીતેશ શાહ જણાવે છે કે પશ્ચિમ વિસ્તારમાં, ખાસ કરીને એસજી હાઇવે અને રીંગરોડ વચ્ચેનો પટો હાલમાં સૌથી વધુ હાઇરાઇઝ બિલ્ડિંગ ડેવલપમેન્ટનો સાક્ષી બની રહ્યો છે. ઊંચી ઈમારતોમાં બાંધકામનો ખર્ચ રૂટીન 15 માળની ઈમારતો કરતાં વધે છે, મેઇન્ટેનન્સ પણ વધારે પડે છે, પરંતુ FSIના ફાયદા અને લાંબા ગાળે મળતા લાભોને કારણે બિલ્ડરો હાઇરાઇઝ તરફ વળી રહ્યાં છે. 'સૌથી વધુ FSI મળવાથી બિલ્ડર્સ હાઇરાઇઝ તરફ આકર્ષાયા'નવી ટોલ બિલ્ડિંગ પોલિસી મુજબ 70 મીટરથી ઉપરની ઈમારતોને 5.4 FSI આપવામાં આવે છે. સામાન્ય રીતે BRTS અને મેટ્રો કોરિડોરમાં 4 FSI મળે છે. સૌથી વધુ FSI મળવાને કારણે બિલ્ડરો ટોલ બિલ્ડિંગ તરફ વધારે આકર્ષાઈ રહ્યાં છે. ભૂકંપ પ્રોન ઝોનમાં હોવાને કારણે આવી ઈમારતો માટે ખાસ સેફ્ટી નોર્મ્સ બનાવવામાં આવ્યા છે. વિન્ડ ટનલ ટેસ્ટ ફરજિયાત છે, જેથી સ્ટ્રક્ચર અને ફસાર્ડ ડિઝાઇન વધુ સુરક્ષિત રીતે કરી શકાય. હાઇરાઇઝ બિલ્ડિંગ માટે શું શું જરૂરી? FSIની બાબતમાં મિનિમમ 1.2 FSI ધરાવતા વિસ્તાર-AUDA, GUDA, VUDA, SUDA અને RUDAમાં જ હાઈરાઈઝ ઈમારતો ઊભી થઈ શકે છે. એટ્રીયમ પાર્કિંગ, STP, સીડી, રેફ્યુજી એરિયા અને સ્કીપ ફ્લોરને FSIમાંથી બાદ ગણી લેવાય છે. પાર્કિંગ ક્યાંય પણ બનાવો, બેઝમેન્ટ, પોડિયમ કે ઉપર તે સંપૂર્ણપણે બાદ ગણાય છે. 'પ્રોજેક્ટની મંજૂરી પ્રક્રિયા 6 થી 8 મહિના સુધી ચાલે છે'ટોલ બિલ્ડિંગનું બાંધકામ રૂટીન બિલ્ડિંગ કરતાં લગભગ 30% વધારે ખર્ચાળ બને છે. આવા પ્રોજેક્ટની મંજૂરી પ્રક્રિયા 6 થી 8 મહિના સુધી ચાલે છે. પ્રક્રિયા મુજબ પ્રથમ ડિઝાઇન અને પ્લાન ઓથોરિટી પાસે સબમિટ થાય, સ્ટ્રક્ચરલ ડ્રોઇંગ્સની સ્ક્રુટિની થાય, ફાઇલ થર્ડ-પાર્ટી સ્ટ્રક્ચરલ વેરિફિકેશન માટે મોકલાય, ત્યારબાદ STC (સ્પેશિયલ ટેકનિકલ કમિટી)માં ફાઇલ જતી રહે છે. STCમાં UDD સેક્રેટરી ચેરમેન છે, સાથે બે સ્ટ્રક્ચરલ એન્જિનિયર, જિયોલોજિસ્ટ, એક AUDA/કોર્પોરેશન ઓફિસર અને ડિઝાઇન એક્સપર્ટ સામેલ હોય છે. ફાયર વિભાગ પણ દરેક ડિઝાઇનની વિગતવાર સ્ક્રુટિની કરે છે. 70 મીટર ઉપરની ઈમારતમાં ફાયર માટે સ્કીપ ફ્લોર ફરજિયાત રાખવો પડે છે. પ્રોજેક્ટ શરૂ કરતા પહેલાં એરપોર્ટ NOC ફરજિયાત ચેક કરવાની રહે છે. 'અત્યાર સુધી 45–46 ટોલ બિલ્ડિંગો મંજૂર' નીતેશ શાહ જણાવે છે કે અન્ય રાજ્યોમાં હાઇરાઇઝ મંજૂરીમાં વર્ષથી વધુ સમય લાગી જાય છે, જ્યારે ગુજરાતમાં આ સમયગાળો 6–8 મહિના જેટલો છે. અત્યાર સુધી 45–46 ટોલ બિલ્ડિંગો મંજૂર થઈ ચૂક્યા છે અને અનેક નવા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. 'કોમનવેલ્થ-ઓલિમ્પિકથી હાઇરાઇઝ બિલ્ડિંગની માંગ વધશે' ઓલિમ્પિક અને કોમનવેલ્થ પર પણ તેની અસર જોવા મળશે. આ પોલિસીને કારણે શહેરોમાં ઓછી જમીનમાં વધારે ડેન્સિટી આવરી શકાય તેમ બન્યું છે. આગામી કોમનવેલ્થ અને ઓલિમ્પિક ઇવેન્ટ્સને કારણે રિયલ એસ્ટેટ માર્કેટમાં હાઇરાઇઝ બિલ્ડિંગોની માંગ વધુ વધશે અને તેનો ગુજરાતને મોટો ફાયદો મળશે. અમદાવાદ હેરિટેજ સિટીથી સ્કાય સિટી બનવા આગળ વધી રહ્યું છે: સ્ટે.કમિટીના ચેરમેનઆ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેર હેરિટેજ સિટીથી હવે સ્કાય સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે. અમદાવાદ શહેરનો સતત વિકાસ વધી રહ્યો છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં 480 ચો.કિમી વિસ્તારમાં ફેલાયેલું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 30 માળ કરતાં વધુ ઊંચાઈની રહેણાંક અને કોમર્શિયલ પ્રકારની બિલ્ડીંગોને મંજૂરી આપી દેવામાં આવી છે. આવનારા દિવસોમાં 30 માળથી વધુ ઊંચાઈ ધરાવતી બિલ્ડીંગો તૈયાર થઈ જતા અમદાવાદ સ્કાય સીટી તરફ આગળ વધશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:00 am

કિંજલ દવેના સગપણથી કોણ દુખી?:ઈન્સ્ટા સ્ટેટસમાં દર્દ છલકાયું, લોકોએ સાંત્વના આપી; સુરત પાલિકાના 'ભટ્ટ સાહેબ' સામે લોકોમાં ભારે રોષ!

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:55 am

ગીતાજયંતી મહોત્સવની પૂર્ણાહૂતિ:‘ધ્યાન મનની સમસ્યાઓનું એકમાત્ર સમાધાન છે’

રવિવારે અખિલ કચ્છ સમસ્ત હિંદુ પરિવાર અને આર્ષ અધ્યયન કેન્દ્ર-ભુજ દ્વારા આયોજિત ગીતાજયંતી મહોત્સવ-2025ની રંગેચંગે પૂર્ણાહૂતિ થઇ હતી. અંતિમ દિવસે કાર્યક્રમની શરૂઆતમાં સ્વામી સુબોધમુનિજીએ સુંદર ભજન ગાઈને સૌને ધર્મવિભોર કરી દીધા હતા. સ્થિતપ્રજ્ઞના લક્ષણો, લાઈફ મેનેજમેન્ટ સેમિનાર શ્રેણીમાં ‘પ્રેક્ટિકલ ધ્યાન અને તેના રહસ્યો’ પર રવિવારે સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ માર્ગદર્શન આપતા કહ્યું કે,ધ્યાન વિના અધ્યાત્મ અધૂરું છે. આધ્યાત્મ યાત્રામાં મન મુખ્ય છે, બુદ્ધિ સૂક્ષ્મ છે. કારણ કે, સમજવા માટે મનને વિવિધ સ્ટેજમાંથી પસાર થવું પડે છે. જાગૃત મન સાથે વ્યવહાર સરળ છે, પરંતુ અર્ધજાગૃત મનને કોઈપણ વસ્તુ સ્વીકૃત કરવા એક જ વાતનું પુનરાવર્તન ખૂબ જરૂરી છે, ધ્યાન અર્ધજાગૃત મનની સમસ્યાઓનું એકમાત્ર સમાધાન છે. ધ્યાનમાં સીધેસીધી છલાંગ ન મરાય, તેના માટે વિવિધ તબક્કાઓ જરૂરી છે. ધ્યાન કરતી વખતે પણ ધ્યાન રાખવું પડે, 10-15 મિનિટમાં થાય તે સૌથી ખોટો સિદ્ધાંત છે, તેના માટે કર્મયોગી બનવું પડે તો વર્તન અને વ્યવહારમાં પ્રતિબિંબ જરૂરી છે. સ્વામીજીએ લાઇફસ્ટાઇલ પર માર્ગદર્શન આપતા કહ્યું કે, સાંજનું ભોજન ૬.૩૦ સુધીમાં કરી લેવામાં આવે તો જીવનમાં જેટલા પણ રોગો છે, તેના સામે આપણે પણ પ્રતિકાર કરી શકીએ છીએ. સવારે કે દિવસે ઊંઘ ત્યારે જ આવે જો રાત્રીના એના સમયે ઊંઘ કરવામાં ન આવી હોય, અથવા તમોગુણ હોય તો આવે ! સવારે બપોરે અથવા રાત્રે ધ્યાન કરી શકાય, પણ મન ફ્રેશ હોવું જોઈએ તે પહેલી શરત છે. દૈનિક કાર્યક્રમના અંતે ગીતાજીની આરતી અને રાષ્ટ્રગાનનું પઠન કરાયું હતું. સમગ્ર મહોત્સવના ભોજન મહાપ્રસાદના દાતા વીણાબેન નવીનભાઈ આઇયા (મોટી વિરાણી - હાલે ભુજ), ટ્રસ્ટીઓ કિરણભાઈ ગણાત્રા અને ગુલાબભાઇ ગજ્જર સાથે આર્ષ અધ્યયન કેન્દ્રના સાધકો, વિવિધ સમિતિઓ અને સ્વયંસેવકો એ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા સહભાગી બન્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:46 am

જીવલેણ હુમલો:ગણેશનગર નજીક યુવક પર છરી વડે હુમલો કરી માર મરાયો

શહેરમાં આવેલ બાપા સીતારામ મઢુલી પાસે ગણેશનગર નજીક યુવકને છોકરીઓ સામે કેમ જુવે છે તેવું કહી આરોપીએ છરીથી હુમલો કરી ઈજાઓ પહોચાડી હોવાની ફરિયાદ નોધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે આરોપી મયુરસિંહ વાઘેલા વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 6 ડીસેમ્બરના બપોરે એક વાગ્યાના અરસામાં બન્યો હતો. જેમાં આરોપીએ ફરિયાદીને કહેલ કે તમે રસ્તે જતી છોકરીઓ સામે કેમ જુવો છો.જે બાદ આરોપીએ ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને પોતાની પાસે રહેલ છરીથી હુમલો કરી ફરિયાદીને ઈજાઓ પહોચાડી તેમજ ધકબુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.સમગ્ર મામલે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:45 am

કામગીરીમાં બેદરકારી‎:દોઢ વર્ષે માર્ગનું રિપેરિંગ શરૂ થયું પણ સુપરવાઈઝર કોઈ નહીં !

દોઢ વર્ષ બાદ માધાપર ગાંધી સર્કલથી ભુજ તરફ આવતા માર્ગનું રીપેરીંગ શરૂ કરવામાં આવ્યું છે. ઓક્ટોબર મહિનામાં વરસાદ બાદ ભીની માટી પર ડામર વર્ક શરૂ થયું હતું પરંતુ વિરોધ થતાં બંધ કરવામાં આવ્યું. ત્યારબાદ આ અઠવાડિયાની શરૂઆતમાં કામ શરૂ થયું છે પરંતુ જાણકારોના મતે મશીન દ્વારા સફાઈ કરી તેમજ ધૂળ ઉડાડી ડામર પાથરવાને બદલે ઉપર ઉપરથી મશીનનો ઉપયોગ કરી ડામર કામગીરી કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ સાઇડ સોલ્ડર પણ યોગ્ય કરવામાં આવ્યા નથી માટે એકાદ વર્ષમાં જ ફરીથી આ રોડની હાલત ખરાબ થઈ જાય તો નવાઈ નહીં. એક સમયે શહેરમાં જે વોર્ડના રસ્તાનું કામ ચાલુ હોય ત્યાં રાજકીય પ્રતિનિધિ એટલે કે નગરસેવક ખડે પગે હોય. તેમજ સરકારી વિભાગના સાઇટ સુપરવાઇઝર પણ સતત હાજર હોય. હવે આ બંને નથી દેખાતા. માધાપર ગ્રામ પંચાયતના માર્ગો નું 20 વર્ષ સુધી માથે રહીને ગુણવત્તા યુક્ત કામ કરાવનાર પૂર્વ સરપંચ અરજણ ભૂડિયા જણાવે છે કે પેવર કામ ચાલુ હોય ત્યારે માર્ગ મકાન વિભાગ નો સુપરવાઇઝર 24 કલાક પ્લાન્ટ અને કામગીરી થતી હોય ત્યાં હાજર હોય. સડકનું કામ ચાલુ હોય તે વખતે જામર દેખાય છે. જામર એટલે કે ડામર પાથરતી વખતે રોલિંગ બાદ રહી ગયેલા ખાડા, જે પાવડા થી ડામર પાથરીને પુરવામાં આવે છે અને ફરીથી રોલિંગ થાય છે. આ કામ થઈ રહ્યું છે કે નહીં તે સુપરવાઇઝર નું કામ હોય છે. પરંતુ ક્યાંય પણ આ દેખાતું નથી. હાલ બની રહેલા ડામર રોડના સાઇડ બહુ સમય નહીં ટકે તેવું જણાવે છે. એટલું જ નહીં બે જગ્યાએ જામર તરફ ધ્યાન દોર્યું પરંતુ કોઈ જવાબદાર વ્યક્તિ નથી રહેતો. ટેન્ડરમાં જણાવ્યા મુજબ જે ગેજ રાખવામાં આવે છે તે પણ પ્રેશર આપ્યા બાદ માપવાનું હોય છે. જેમ કે 450 નો ગેજ હોય તો રોલિંગ થયા બાદ માપવાનું હોય છે. આમ અનેક જગ્યાએ ‘સેવિંગ’ કરીને ગુણવત્તાને અસર પહોંચે તેટલો ભ્રષ્ટાચાર થાય છે. છેલ્લા થોડા વર્ષોથી પંચાયત, રાજ્ય કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો ટકાઉ નથી બનતા તેમાં આવા અનેક કારણો છે. બે દાયકા બાદ ભુજના રીંગરોડનું નવીનીકરણ શરૂ થઈ ગયું છે, ત્યારે જો ભુજને લાંબી આવરદા સાથેના માર્ગ જોઈતા હશે તો સતત જાગૃત રહેવું પડશે. એટલું જ નહીં પરંતુ જે વોર્ડમાં જે રીંગરોડ આવતો હોય ત્યાંના નગરસેવકે સ્વેચ્છાએ હાજર રહીને ગુણવત્તા યુક્ત કામ થાય તે જોવું પડે. ભુજમાં અમુક ગ્રુપ એવા છે કે જે જાગૃત છે તેઓ પણ ગુણવત્તા માટે આગળ આવે તો અંતે લોકોને જ ફાયદો છે

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:44 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:મોતના (કૂવા) બોર : 2019માં આ મુદ્દે નગરપાલિકા અને કલેક્ટરને સંબોધી પત્ર લખી આ સમસ્યા મુદ્દે ધ્યાન દોરાયું હતું

કુકમા નજીક ખુલ્લા બોર અને અપમૃત્યુના બનાવ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યા છે, ત્યારે આજથી છ વર્ષ પહેલા કુકમા ગ્રામ પંચાયતે આ મુદ્દે તંત્રનું ધ્યાન દોર્યું હતું પણ કાર્યવાહી ન થતા આ સિલસિલો યથાવત રહ્યો છે. કુકમા નજીક આશાપુરા ટેકરી નજીક બોરમાં ઝારખંડના યુવાનનો જીવનદીપ બુઝાયો છે. કુકમા ગ્રામપંચાયત દ્વારા 2019માં આ મુદ્દે નગરપાલિકા અને કલેક્ટરને સંબોધી પત્ર લખી આ સમસ્યા મુદ્દે ધ્યાન દોરાયું હતું અને કશું પણ અઘટિત બને તો જવાબદારી પણ ઠેરવાઈ હતી. આ પત્રમાં તત્કાલીન મહિલા સરપંચ દ્વારા આક્ષેપ કરાયો હતો કે, કુકમા જુથ ગ્રામ પચાયતની હદમાં ભુજ નગરપાલિકા દ્વારા જે બોર બનાવવામાં આવે છે. જેની જાણ કુકમા જૂથ ગ્રામ પંચાયતને કરવામાં આવેલ નથી તેમજ જે બોર બનાવવા માટેની મંજુરી આપેલ છે, જેની નકલ કુકમા જુથ ગ્રામ પંચાયતને આપવા જણાવાયું હતું, જેથી સ્થાનિકે થતા પ્રશ્નો નિવારી શકાય. આ પત્રમાં બોરની ફરતે ફેન્સીંગ કરવા અને બીજા વ્યક્તિઓ દ્વારા દબાણ પણ કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ સાથે લેર સહિતના વિસ્તારોમાં ખુલ્લા બોર તાત્કાલીક ઢાંકવામાં રજૂઆત કરાઈ હતી, જેથી પશુધનને તેમજ આવતા જતા રાહદારીઓને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ હતી. કોઈપણ ખુલ્લા બોરમાં ભવિષ્યમાં કોઇ પણ જાતની જાનહાની તેમજ ગંભીર અકસ્માત થશે તેની સંપુર્ણ જવાબદારી પણ તંત્રની હોવાનો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો આવ્યો હતો. જો કે 11 મહિના પહેલા કંઢેરાઇ અને હવે આશાપુરા ટેકરી પાસે આ બનાવ બનતા મુદ્દો ફરી સપાટીએ આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:42 am

8 ડિસેમ્બર વિશેષ:‘અમને મરવાનો ડર નહોતો, બસ દેશને જીતાડવો હતો’

ભારતીય ઈતિહાસમાં 8મી ડિસેમ્બરના દિવસનું વિશેષ મહત્વ છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન આ જ સમયગાળો હતો જ્યારે કચ્છના માધાપર ગામની 300 જેટલી બહાદુર મહિલાઓએ જીવના જોખમે જે કરી બતાવ્યું હતું, તેની નોંધ આજે પણ સુવર્ણ અક્ષરે લેવામાં આવે છે. યુદ્ધ દરમિયાન પાકિસ્તાને ભુજ એરબેઝને નિશાન બનાવ્યું હતું. પાકિસ્તાની સેબર જેટ્સ દ્વારા 14 જેટલા નેપામ બોમ્બ ઝીંકીને ભુજ એરપોર્ટના રનવેને તહસ-નહસ કરી નાખવામાં આવ્યો હતો. રનવે તૂટી જવાને કારણે ભારતીય વાયુસેનાના વિમાનો ન તો ટેક-ઓફ કરી શકતા હતા કે ન તો લેન્ડ. સ્થિતિ નાજુક હતી અને રનવેનું સમારકામ તાત્કાલિક કરવું જરૂરી હતું. ત્યારે માધાપર ગામની ૩૦૦ જેટલી મહિલાઓ દેશસેવા માટે આગળ આવી. 8 ડિસેમ્બરની આસપાસના એ કટોકટીભર્યા દિવસોમાં, આ બહેનોએ રનવે રિપેરીંગનું કામ હાથમાં લીધું.”અમને મરવાનો ડર નહોતો, બસ દેશને જીતાડવો હતો.” - આ જ જુસ્સા સાથે ગ્રામીણ મહિલાઓએ પાવડા અને તગારા લઈને કામ શરૂ કર્યું. સતત બોમ્બમારાના ભય વચ્ચે પણ આ વિરાંગનાઓએ રાત-દિવસ એક કરીને માત્ર ૭૨ કલાકમાં રનવે ફરીથી તૈયાર કરી દીધો. તેમના આ અદમ્ય સાહસને કારણે ભારતીય વાયુસેના ફરીથી એક્શનમાં આવી શકી અને સ્ક્વોડ્રન લીડર વિજય કર્ણિક તેમની ટીમ સાથે વિમાન ઉડાવી શક્યા, જેના પરિણામે ભારતે યુદ્ધમાં નિર્ણાયક જીત મેળવી. પાકિસ્તાન કચ્છને અલગ કરવા માંગતુ હતુંએ વખતે ભુજ એરફોર્સ સ્ટેશનના બેઝ કમાન્ડર વિજય કર્ણિકે અગાઉ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને કચ્છને અલગ પાડવા અને કબજે કરવા માટે ભુજ એરફિલ્ડને નષ્ટ કરવાની યોજના બનાવી હતી. “ભુજ સેક્ટરમાંથી, અમે કરાચી પર હુમલા કરી રહ્યા હતા. યુદ્ધ તેની ચરમસીમાએ હતું. સિંધ પ્રાંતનો અડધો ભાગ કબજે કર્યા પછી, 10 પેરા બ્રિગેડ (ખાસ દળો) નું નેતૃત્વ કરી રહેલા જયપુરના મહારાજા સવાઈ ભવાની સિંહ પણ ભુજ આવ્યા હતા.પાકિસ્તાને શરૂઆતથી જ એટલે કે 3 ડિસેમ્બરથી બોમ્બમારો શરૂ કરી દીધો હતો. 6 ડિસેમ્બરે, અમે ભુજ ઉપર તેમનું વિમાન તોડી પાડ્યું, જેનાથી તેઓ વધુ ગભરાયા. 8 ડિસેમ્બરની રાત્રે, તેમણે સંકલિત હુમલાની યોજના બનાવી. PAFના B57 વિમાનોએ 64 બોમ્બ ફેંક્યા. દરેક વિમાનમાં આઠ 1,૦૦૦ પાઉન્ડના બોમ્બ હતા.” ઓપરેશન દરમિયાન રખાયેલી સાવચેતી અને રણનીતિદુશ્મન દેશના વિમાનોની નજરે ન ચડી જાય તે માટે આ મહિલાઓને સૂચના આપવામાં આવી હતી.કામ કરતી વખતે જ્યારે પણ હવાઈ હુમલાનું સાયરન વાગતું, ત્યારે બધી મહિલાઓ તાત્કાલિક નજીકના બાવળની ઝાડીઓમાં કે ખાડાઓમાં છુપાઈ જતા હતા. આમ જીવના જોખમે રન વે રિપેર કરવાની કામગીરી માધાપરની વિરાંગનાઓ દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:41 am

જર્જરિત સ્કૂલને ‘નવજીવન’:89 વર્ષીય ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સ્કૂલના પુનઃનિર્માણ માટે 1 કરોડનું દાન

હેતલ શાહ સમય બદલાઈ જાય છે, સંજોગો બદલાઈ જાય છે, પરંતુ પોતાના બાળપણના શિક્ષણ ધામનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી. સ્કૂલના જ ભૂતપૂર્વ 89 વર્ષના વિદ્યાર્થી વસંતભાઈ ઉત્તમભાઈ પટેલે જીવન ભારતી કિશોર ભવનને નવજીવન આપ્યું છે. તેમણે જર્જરિત સ્કૂલને નવેસરથી બનાવવા માટે રૂ. 1 કરોડથી વધુનું દાન આપીને પોતાનું ઋણ ચૂકવ્યું છે. આચાર્ય ચંદ્રવદન ચુનીલાલ શાહ દ્વારા વર્ષ-1946માં એટલે ભારત આઝાદ થયાના એક વર્ષ પહેલા જ શહેરના નાનપુરા ટીમલીયાવાડમાં એક નાનકડી ઓરડીથી જીવન ભારતી સ્કૂલની સફર શરૂ થઈ હતી. જેણે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, દેશભરને મહાન વ્યક્તિઓ અર્પિત કર્યા છે. દરમિયાન, આ સ્કૂલના એક ભૂતપૂર્વ 89 વર્ષીય વિદ્યાર્થી વસંતભાઈની અમેરિકા ખાતે હોટેલના માલિક છે. તેમણે વર્ષ-1946માં એટલે સ્કૂલ શરૂ થતાંની સાથે જ ધો. 4માં પ્રવેશ લઈ વર્ષ-1954 સુધી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. સ્કૂલ છોડ્યાને આજે 71 વર્ષ બાદ કામરેજ ખાતે દાદા ભગવાન મંદિરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે પોતાની સ્કૂલનું નામ સાંભળ્યું હતું. આ સાંભળીને તેમને તેમના સ્કૂલના દિવસો યાદ આવી ગયા અને લાગણીના તરંગે તેમને ફરી સ્કૂલ સુધી દોરી ગયા હતા.ત્યાં પહોંચી તેમણે કેસરબેન પૂનમચંદ્ર ગાંધી એટલે કિશોર ભવનની બિલ્ડિંગની હાલત જર્જરિત જોતાં જ તેમનું મન દ્રવી ઉઠ્યું હતું. તેમણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના જ કહ્યું કે, “હું આ ભવનને સુધારી આપીશ.” અમેરિકાની હોટેલથી મળેલી સફળતાના કારણે તેમણે રૂ. 1 કરોડના ખર્ચે કિશોર ભવનની બે માળની બિલ્ડિંગ બનાવી તેની કાયાપલટ જ કરી નાખી હતી. આજે અહીં આધુનિક કોમ્પ્યુટર રૂમ, સાયન્સ લેબ અને સંમેલન ખંડ તૈયાર છે.વસંતભાઈએ ભૌતિક સંપત્તિને જ્ઞાનના રોકાણમાં પરિવર્તિત કરીને ખરા અર્થમાં ‘વિદ્યાનું ઋણ’ અદા કર્યું છે. તેમનું આ કાર્ય આવનારી પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:40 am