SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
... ...View News by News Source

ફૂડ‎એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આકસ્મિક ‎તપાસ:ફુડ એન્ડ ડ્રગ્સ ખાતાની વાપીમાં 11 રેસ્ટોરન્ટ અને હોટલોમાં તપાસ

વલસાડ જિલ્લાના વાપી અને ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે કુલ 17 હોટલ રેસ્ટોરન્ટોમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે આકસ્મિક તપાસ હાથ ધરી પનીર અને ચીઝના કુલ 17 નમૂના હસ્તગત કર્યા છે.આ નમૂનાઓ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. વલસાડ જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર આશિષ વલવીની સૂચના અને માર્ગદર્શનમાં ફુ઼ડ સેફટી ઓફિસરોની સંયુક્ત ટીમે વલસાડ જિ.ના વાપી શહેર અને ડાંગના સાપૂતારામાં હોટલો તેમજ રેસ્ટોરન્ટોમાં ખાદ્યીચીજોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં વાપી શહેરમાં કોપરલી રોડ પર અમરિશ રેસ્ટોરન્ટ, શાંતિ કોમ્પલેક્શમાં રંગોલી રેસ્ટોરન્ટ, મોરારજી સર્કલ પ્રાઇમ હોટલ, ઝોડિયાકઓફ અરિટી સર્વિસ પ્રા.લિ.કોપરલી રોડ, એલ્વી અગેઇન ઓફ યુનિટી ઓફ અરીટી સર્વિસ,વુડલેન્ડ ઓફ યુનિટી ઓફ અરીટી,દર્શન રેસ્ટોરન્ટ, દમણરોડ, બાપુસ ફાસ્ટ ફુડ, સ્ટેશન રોડ, બાલાજી 99 ઢોસા, ચલા રોડ, ગજાનંદ રેસ્ટોરન્ટ ચલા, ન્યુ વૈભવ રેસ્ટોરન્ટ એન્ડ કેટરર્સ મુકતાનંદ માર્ગ વાપી ખાતે તપાસણી હાથ ધરવામાં આવી હતી. જેઓમાંથી પનીર તથા પનીરની વાનગીઓના કુલ 7 નમૂના તથા 1 ચીઝ એનોલોગ મળી કુલ 8 જેટલા એન્સફોર્સમેન્ટ નમૂના લેવાયા હતા. ઉપરાંત ડાંગના સાપૂતારા ખાતેથી વિવિધ હોટેલ રેસ્ટોરન્ટોમાંથી 6 જેટલા પનીર તથા પનીરની વાનગીઓના એન્સફોર્સમેન્ટના નમૂના લઇ ગુણવત્તાની ચકાસણી કરવા લબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. વિભાગ દ્વારા વલસાડ ડાંગ જિલ્લામાં હોટલો, રેસ્ટોરન્ટો, ખા ણીપીણી દૂકાનો તથા લારીઓની અવારનવાર તપાસ કરવામાં આવે છે. અગાઉ જિલ્લામાં ફુડ કોર્ટના માલિકોને ખાદ્ય ખોરાક બનાવવા વપરાતી વસ્તુઓનું ગ્રાહકોને વંચાય તે રીતના ડિસ્પ્લે બોર્ડ લગાવવા તથા હાઇજેનિક અને સેનેટરી કન્ડિશન જળવાઇ રહે તેની સૂચના આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:56 am

ભાસ્કર વિશેષ:તીઘરામાં તંત્યા મામાં ભીલ ચોકની સ્થાપના

ઇન્ડિયન રોબિનહુડના નામથી જાણીતાં મહાન ક્રાંતિકારી તંત્યા મામાં ભીલના શહીદ દિવસ નિમિત્તે વલસાડ તાલુકાના તીઘરા ગામના પહાડ ફળિયામાં તંત્યા મામાં ભીલ ચોકનું નામકરણ ડો.નિરવ ભુલાભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું . જેમાં વિવિધ સામાજિક આગેવાનો વિજય કટારકર,મયુર પટેલ,શૈલેષ પટેલ,તિલક પટેલ,અનિલ પટેલ,ધર્મેશ પટેલ,મનીષ ઢોડિયા, હિતુ ઢોડિયા,પથિક,મયુર,હિર ેન વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યુ હતું કે આપણા મહાન ભારત દેશની પવિત્ર ભૂમિ પર અનેક મહાન વીર ક્રાંતિકારી લોકોએ જન્મ લીધો છે અને દેશ માટે મરી ફીટ્યા છે. તેઓની પાસેથી આપણે અચૂક પ્રેરણા લઇ પ્રખર દેશભક્ત અને સમાજસેવક બનવું જોઈએ અને અન્યાય તેમજ ભ્રસ્ટાચાર સામે કોઈપણ જાતનો ડર રાખ્યા વગર અવાજ ઉઠાવવો જોઈએ. કારણકે ઇતિહાસ હંમેશા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવનારનો જ લખાયો છે બાકી મૃત્યુ તો એવા લોકોના પણ થયા છે જેલોકો મૃત્યુના ડરથી અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવતા ડરતા હતાં. આજે અમને ગર્વ છે કે દારૂના નશામાં ધમકી મળવા છતાં દેશની લોકહૃદયમાંથી ઇતિહાસકારોના ભેદભાવયુક્ત વલણને કારણે ભુલાય ગયેલી મહાન વિભૂતિને દક્ષિણ ગુજરાતમાં માનભેર લઈને આવ્યા છીએ અને એમના મહાન કાર્યોંનો વ્યાપ હજુ વધારે મજબૂતીથી લોકહૃદય સુધી પહોંચાડીશું જેથી તંત્યા મામાં ભીલ કોણ છે એ આ વિભાગના આદિવાસીઓ જાણતા જ નથી જેવું નિમ્ન કક્ષાનું નિવેદન આપી મહાન ક્રાંતિકારીનું અપમાન કરનાર લોકોની આંખો ઉઘડે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તીઘરા ગામના સામાજિક આગેવાન મૂકેશ પટેલ, સવિતાબેન, રજનીશ કાલુ, જનકભાઈ, અશ્વિનભા ઇ, સુરેશભાઈ, રતિલાલ, ઉમેશભાઇ, કેતન, મનીષ તીઘરા વગેરેએ ખુબ મહેનત કરી હતી. કાર્યક્રમના અંતે ઘરમા પતરા નખાવી આપવામાં તાત્કાલિક સહાય આપવા બદલ વડીલ બચુભાઈ અને કેટલાંક કારણોસર નોકરી મેળવવામાં વિઘ્ન બનેલ કારણો દૂર કરી આપી નોકરી પર હાજર થવામાં મદદરૂપ થવા બદલ યુવતીની માતાએ ડો.નિરવ ભુલાભાઇ પટેલને વ્હાલભેર આશિર્વાદ આપી આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:53 am

જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા સાથે વાતચીત:પ્રાસંગિક મુદ્દા,વિકાસ સાથે જોડાયેલી દષ્ટિ અને વ્યક્તિગત મુદ્દા પર : જિલ્લા કલેક્ટરનો ઇન્ટરવ્યુ

9 એપ્રિલ 2025ના રોજ ગાંધીનગર ખાતે સ્વચ્છ ભારત મિશન (અર્બન ડાયરેકટર પદ ઉપર ફરજ બજાવતા ભવ્ય વર્માની રાજ્ય સરકારે વલસાડ કલકેટર પદે નિયુક્તિ કરી હતી. વલસાડમાં નિયુક્ત થયા પછીના માત્ર સાડા છ માસ થયા છે અને ભવ્ય વર્મા જિલ્લાના નાગરિકોની આશા અપેક્ષાઓને ચરિતાર્થ કરવા પ્રયત્નશીલ રહ્યા છે ત્યારે દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિએ તેમની પાસેથી જાણ્યું કે, Iજવાબ.S બનવા સુધીની તેમની જીવન યાત્રા, જિલ્લા માટે તેમનું લક્ષ્ય શું છે. સવાલ. જીવનયાત્રા અને કારકિર્દીનો મહત્વનો વળાંક કોને માનો છો ?જવાબ... સૌ પ્રથમ શિક્ષણની વાત કરીએ. મારી માતા પ્રાથમિક શાળાના શિક્ષિકા હોવાના કારણે ગરીબ બાળકોને ભણાવવા તેમના વાલીઓની સમસ્યાઓ, સંઘર્ષની વાતો બચપનમાં જાણવા મળી હતી. શાળામાં ભણતા બાળકો માટે સરકાર શું શું કરે છે,ટેબ્લેટનું વિતરણ, અશક્તતા માટે આર્યનની ઉણપ કેવી રીતે દૂર થાય વિગેરે પ્રશ્નોનું મને ઘરમાંથી નોલેજ મળ્યું હતું.જે બાબત મારી કારકિર્દી માટે મહત્વનો વળાંક હતો. સવાલ.. નેતૃત્વની કાર્યશૈલીને એક વાક્યમાં શું કહેશો ?જવાબ.. સિસ્ટમને અનુરૂપ કાર્યશૈલી, શિક્ષણ,પબ્લિક સેવા,માનવીય મૂલ્યોને કેન્દ્રમાં રાખવું. સવાલ.. આપના ક્ષેત્રેૃની સૌથી મોટી સમસ્યા કે લોકોનું દર્દ શું છે ?જવાબ.. વલસાડ જિલ્લો છેવાડાનો છે.ખાસ કરીને અહિં મોન્સૂનમાંકોઇ મૃત્યુ ન થવું જોઇએ તે ધ્યાને રાખી લોકોને મદદ કરવા સરકારી વિભાગોના અધિકારીઓના સંકલન કાર્ય પધ્ધતિથી કામ કર્યું તેમાં કોઝવે પરથી કોઇ પસાર ન થાય તેની સતત સૂચના જારી કરાઇ હતી. કોઝવે પર પાણી હોય તો પણ લોકો ચાલી જાય છે. પ્રશાસનિક ભુલથી કોઇનું ડેથ નહિ થાય તેમાં સફળ રહ્યા હતા.લોકો સતર્ક રહે તે જરૂરી છે. સવાલ.. શોખ,મિત્ર વિશે કંઇ ?જવાબ.. સરકારી વિભાગના સ્ટાફ, ઓફિસર્સ સાથે સંકલન, બાળપણના મિત્રોને યાદ કરું છું. મિત્રોય યાદ કરતા હોય છે.યુવાઓ હમેશા વાંચન પર ધ્યાન આપે તેવું હું ઇચ્છું છું.સમય મળતા મને વાંચન કરવું ગમે છે. આઇએએસ માટે ટેસ્ટ સીરિઝ મોક,બુક્સ,ઇન્ટરનેટ પરથી બુક્સ મેળવી એનસીઇઆરટીની સ્ટાન્ડર્ડ બુક્સનું વાંચન ખુબ ઉપયોગી થશે. સવાલ.. આ વિસ્તારમાં જનહિત માટેના કોઇ પ્લાન ?જવાબ.. આરોગ્ય ક્ષેત્રે અને શિક્ષણ માટે કામને પ્રાધાન્ય.લોકોની સમસ્યાના નિરાકરણ માટે સરકારી વિભાગો સાથે અધિકારીઓ સાથે પ્રયાસ કરવા , લોકોની સુવિધાઓના કામોને વેગ આપવા ઝડપી પ્રક્રિયા થાય તેવા એપ્રોચથી કામો જલ્દી કરી લોકોની સમસ્યાનું નિરાકણ કરવાને પ્રાથમિકતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:47 am

દુર્ઘટનાની ભીતિ:વલસાડ પાલિકાની ત્રણ નોટિસ છતાં જર્જરિત બિલ્ડિંગ મુદ્દે કાર્યવાહી શૂન્ય

વલસાડ બેચર રોડ પર જર્જરિત જાહેર કરાયેલી લક્ષ્મી ચેમ્બર નામની બિલ્ડિંગના કબજેદારોને નગરપાલિકાએ છેલ્લા 6 માસમાં 3થી વધુ નોટિસો છતાં કબજેધારકો દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બિલ્ડિંગ જોખમી થઇ રહી છે જેથી કોઇ અકસ્માતની ઘટના સર્જાય નહિ તે માટે તાત્કાલિક સીલ કરવા કરી મરામત કરવા અને જોખમી ભાગ દૂર કરવા નગરપાલિકાને એડવોકેટ અરજદાર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. વલસાડના બેચર રોડ ઉપર કાપડિયા ચાલ વિસ્તારની સોસાયટી નજીક આવેલી લક્ષ્મી ચેમ્બર્સ નામની બિલ્ડિંગ વર્ષોથી બિસમાર બનતાં હાલે જર્જરિત દશામાં છે.તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આ મામલો પહોંચતાં પ્રાંત અધિકારી દ્વારા નગરપાલિકાને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના અપાઇ હતી. નગરપાલિકાએ આ બિલ્ડિંગ જર્જરિત હોવાથી છેલ્લા 6 માસમાં 3 નોટિસ બિલ્ડિંગના કબજેદારોને આપી પરંતું રિપેરિંગ કે જર્જિરત ભાગ દૂર કરવામાં આવ્યું નથી.આ મામલે સ્થાનિક અરજદાર એડવોકેટ અકિબ મલેકે ફરિયાદમાં જણાવ્યા મુજબ લક્ષ્મી ચેમ્બર જર્જરિત છે અને બિલ્ડિંગના પાછળના ભાગે 30થી 40 બાળકોના ટ્યુશન ક્લાસ હોવાથી તેમજ લક્ષ્મી ચેમ્બર સ્ટેટ હાઇવેને લાગુ તાત્કાલિક કાર્યવાહી ન હાથ ધરાય તો હોનારતની શક્યતા દર્શાવી છે. તેમણે આક્ષેપો કરતા પાલિકાને રાવ કરી છે કે દિવાળી બાદ રિપેરિંગ કરાશે તેવું કબજેધારકોએ કહ્યું હતું પરંતુ તેમ ન થતાં પાલિકાએ ફરી નોટિસ આપી હતી.3 નોટિસો ઉપરાંત ચોથી પણ નોટિસ આપીને પાલિકાના ઇજનેરો સંતોષ માની બેસી રહ્યા છે.જેના કારણે નક્કર કાર્યવાહી ન કરાતાં રહીશોના બાળકોને તેમજ જર્જરિત માળખાના ભાગોથી દૂર્ઘટના નહિ સર્જાય તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવા અરજદારે માગ કરી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:45 am

ભાસ્કર એક્સક્લુસિવ:રોજ 20 હજાર લોકો માટે ઉપયોગી વલસાડ સ્ટેશન રોડની ટ્રાફિકમાંથી હવે રાહત મળશે

વલસાડમાં રેલવે સ્ટેશન રોડ પર વર્ષોથી એક માર્ગના કારણે દૈનિક 15 હજારથી વધુ મુસાફરોને સ્ટેશને પહોંચવા અને ટ્રેનોમાંથી બહાર નિકળી ઘરે પરત થતી વેળા ભારે હાલાકી હવે દૂર થશે. રેલવે તંત્રના સુનિશ્ચિત આયોજન સાથે સ્ટેશન પાસેના માર્ગને લાગૂ જૂની ગોદીનો દરવાજો કાયમી બંધ કરી દેવાયો છે અને ગોદી 500 મીટર ઉત્તરે ખસેડી છે.જ્યા નવી ગોદીનું બિલ્ડિંગ બની રહ્યું છે. સાથે જ નવું વધુ લંબાઇ ધરાવતું વિશાળ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. જેના પર અનાજ,સિમેન્ટ વિગેરે સામાનની મોટી રેકો ઉભી થશે. હવે મોગરાવાડી 329થી છીપવાડ 330 ગરનાળા વચ્ચે પશ્ચિમે માલઘર ગોદી બની રહી છે. જેના વિસ્તરણ માટે મોગરાવાડી ગરનાળુ વધુ લાંબુ બનાવાયું છે, જ્યાં ગોદીમાં જમણે જવાનો રસ્તો બંધ છે અને તેના બદલે ડાબી બાજુનો રસ્તો બનાવાયો છે. છીપવાડ નાળાની ખેરગામ જતી ઉતરણી સામે પણ નવો વિશાળ ગેટ વાહનોની અવરજવર માટે બનાવ્યો છે જ્યાં પુરાણ સાથે બાંધકામ થઈ રહ્યું છે. અંડરપાસને બંધ કરી લાંબો કરાશે‎મોગરાવાડી ખાતે પ.રેલવે ગરનાળા ગર્ડર બદલવાની કામગીરી સ્લેબ નાંખવા માટે વિરોધ ન થાય એટલા માટે પહેલાં અન્ડરપાસ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.જે મુદત પૂરી થવાના આગલા દિવસે 29 નવેમ્બરે રેલ્વે તંત્રે મુદત વધારાનું બેનર મૂકી વધુ એક માસ બંધ રાખવાની જાહેરાત કરતા વીસ હજારથી વધુ વસતિને ભારે આંચકો લાગ્યો છે, રેલવેની જૂની ગોદીના ભારે વાહનોથી વારંવાર અકસ્માત સર્જાતા હતા‎સ્ટેશનરોડ પર ગોદીના ભારે વાહનોથી અકસ્માતનો સતત ભય હતો વલસાડના સ્ટેશન રોડ પર ભારે વાહનોના ગોદીમાંથી માલ ભરીને ટ્રેનોના આવવા જવાના સમયે પસાર થવાથી સતત ભીડ અને ટ્રાફિક જામના કારણે એક બીજા સાથે અથડાત નાના મોટા અકસ્માતો અનેકવાર સર્જાતા હતા.ભૂતકાળમાં આ ગોદીમાંથી માલ ભરીને જતી એક ભારે ટ્રકના વ્હીલમાં ધોળે દિવસે કલ્યાણબાગ સર્કલ નીરા કેન્દ્ર સામે રોડ પર મહિલા કચડાઇ ગઇ હતી. ગોદીને મોગરાવાડી તરફ ખસેડાશે ગોદી ખસેડવા માટે રેલવેના માલનું વહન કરવા અને સ્ટેશન રોડ પર મુશ્કેલી સામે વધુ સુવિધાનો લક્ષ્ય રાખવામાં આવ્યોછે.સ્ટેશન ઉપર ટ્રેન પકડવા માટે રેલવે સ્ટેશને પહોંચવા કે ટ્રેનમાંથી ઉતરી ઘરે પરત ફરતા મુસાફરોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. રિક્ષા,કાર કે પગપાળા આવતા મુસાફરોને સ્ટેશન રોડ પરથી ટ્રેનો પકડવા પણ ગોદીમાંથી નિકળતાં ભારે વાહનોનો સામનો કરવા મજબૂર થવું પડે છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:44 am

આરોપીઓ જેલહવાલે કરાયા:મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સ પાસા હેઠળ જેલહવાલે

મોરબી જિલ્લા પોલીસે પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ શખ્સ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ, મોરબી તરફથી પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવતા, એલ.સી.બી. અને હળવદ પોલીસની ટીમોએ ત્રણેયની અટકાયત કરી તેમને અલગ-અલગ જેલ હવાલે કર્યા છે. દારૂના ગુનામાં સંડોવાયેલા આરોપી અલ્પેશભાઈ રમેશભાઈ જીંજરીયા રહે. જૂના ઘુટું રોડ, મોરબીને મધ્યસ્થ જેલ, વડોદરા, બીજા આરોપી રવિભાઈ રમેશભાઈ વિંજવાડીયા રહે. જૂના ઘુંટુરોડ, મોરબીને જિલ્લા જેલ, જૂનાગઢ અને ત્રીજા આરોપી તેજશભાઈ નરશીભાઈ લાંઘણોજા રહે. ખાખરેચી, તા. માળીયા મીંયાણાને જિલ્લા જેલ, ભાવનગર ખાતે મોકલાયો છે. પોલીસે દારૂની બદીને નાબૂદ કરવા નાગરિકોને તેમના રહેણાંક વિસ્તાર, વ્યવસાય સ્થળો, કે પછી અવાવરૂ જગ્યાઓ, ધાર્મિક સ્થળો, શાળાઓ/કોલેજોની આસપાસ અથવા જાહેર સ્થળોએ પ્રોહિબિશનનું વેચાણ, હેરાફેરી, કે દારૂ ગાળવા જેવી પ્રવૃત્તિઓ આચરતા શખ્સોની માહિતી તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાં આપવાની અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:36 am

ટ્રાફિકજામ સર્જાયો:મોરબીના નવલખી રોડ પર ટ્રકની પલટી, બીજા 3 ભારે વાહન અટવાતાં ટ્રાફિકજામ

મોરબીનો નવલખી રોડ લાંબા સમયથી એટલી હદે ખરાબ હાલતમાં છે કે આ રોડ અકસ્માતનું એપી સેન્ટર બની ગયો છે. રોજબરોજ અનેક નાના મોટા અકસ્માતોનો આ રોડ સાક્ષી બન્યો છે જેમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. માં નવલખી રોડની બિસ્માર હાલતને કારણે અહીંથી પસાર થતો એક ટ્રક અચાનક પલ્ટી મારી ગયો હતો. ત્યાં પાસે જ આજે બીજું એક ડમ્પર નમી ગયું હતું. આ ઉપરાંત સાઈડમાંથી નીકળવા જતા બે ટ્રક પણ અટવાઇ ગયા હતા. તેથી થોડીવાર માટે ટ્રાફિકજામ પણ થયો હતો.આથી અહીં અકસ્માતની ઘટના અટકવવા રોડનું યોગ્ય રીતે રીપેરીંગ કરવાની વાહન ચાલકોએ માંગ ઉઠાવી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:32 am

ડિજિટલાઇજેશન ફળ્યું:મોરબીમાં ઓનલાઇન વેરો ભરવાનું વધ્યું , મનપામાં 5492 લોકોએ પ્રોપર્ટી ટેક્સ ભર્યો

મોરબીમાં અત્યાર સુધી અનેક નોટિસ અને મિલકત જપ્તીની કાર્યવાહીની ચેતવણી છતાં કરવેરો ભરવામાં ભારે ઉદાસીન વલણ દાખવતા આસામીઓ હવે ખુદ કરવેરો ભરવા આગળ આવ્યા છે અને ખાસ તો હવે આજના ડિજિટલાજેશનના યુગમાં ઓનલાઈન કરવેરો ભરવા આસામીઓને રસ વધ્યો હોય એમ 5492 લોકોએ ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ ભર્યો છે અને હજુ ઓનલાઈન વેરો ભરવાની પ્રક્રિયા તેજ ગતિએ ચાલુ છે. મનપાના ટેક્સ વિભાગે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન નામની એપ્લિકેશન ઓનલાઈન વેબસાઈટ જાહેર કરી વેરો ભરવાની લોકોને તાકીદ કરી છે. 11 ક્લસ્ટર ઓફિસે થઇ રહી છે વેરા વસૂલાત‎મોરબી મહાપાલિકા દ્વારા નાની વાવડી પંચાયત, અમરેલી પંચાયત, મહેન્દ્રનગર પંચાયત, ભડીયાદ પંચાયત, ત્રાજપર પંચાયત, ગ્રીનચોક લાઈબ્રેરી, વિશ્વકર્મા બાલ મંદિર, શનાળા, રવાપર, અને લીલાપર ગ્રામ પંચાયત એમ 11 ક્લસ્ટર ઓફિસ ખાતે પ્રોપર્ટી ટેક્સ અને વ્યવસાય વેરો ભરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુખ્ય ઓફિસ રૂમ નં-9 ખાતે સવારે 10:30 થી સાંજે 5 વાગ્યા સુધી POS મશીન દ્વારા કરવેરો ભરે છે.મનપાએ હાલ સમયની માંગ મુજબ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપ્યું છે. લોકો ઓનલાઈન વેબસાઈટ પ્લે સ્ટોર પરથી મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન લખીને લોગોવાળી એપ્લિકેશન ડાઉનલોડ કરીને વેરો ભરી શકે છે. 50,000થી વધુ વેરો બાકી હોય તેમને નોટિસ આપવાનું શરૂ‎મોરબી મહાનગરપાલિકાનું આગામી નાણાકીય વર્ગ માર્ચમાં પૂરું થવાનું હોય આ માર્ચ એન્ડિંગ પહેલા કરવેરાનો ટાર્ગેટ પૂરો કરવા મનપાના ટેક્સ વિભાગે કરવેરાના આકરાણી શરૂ કરી છે. જેમાં મનપાના ટેક્સ વિભાગે હાલ રૂ. 50,000થી વધુનો વેરો બાકી હોય તેવા મિલકત ધારકોને કરવેરો ભરવા માટે ધડાધડ નોટિસ ઇસ્યુ કરવાની કવાયત હાથ ધરી છે અને ટેક્સ વિભાગે આ નોટિસો ઇસ્યુ કરવાનું શરૂ કરી સમય મર્યાદામાં કરવેરો ન ભરનાર મિલકત ધારકોની મિલકત સીલ કરવાની ચેતવણી આપી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:30 am

સોનેરી સિદ્ધિ:LRD પાસ કરી મોરબીની 8 યુવતીએ કંડારી કેડી, સફળતા માટે કર્યો સંઘર્ષ

જાણીતી ફિલ્મ દંગલનો યુવતીઓમાં જોમ જુસ્સો વધારતો એક પ્રખ્યાત ડાયલોગ છે કે, હમારી છોરી છોરો સે કમ હૈ કા નો વાસ્તવિક અમલ કરતી પ્રેરણાદાયી બાબત મોરબીમાં સામે આવી છે. જો કે મોરબી ઔદ્યોગિક હબ તરીકે જ જાણીતું હતું. પણ હવે રમત ગમત તેમજ શિક્ષણ અને બાકી રહી ગયું હતું. પોલીસના પ્રથમ ચરણરૂપ એલઆરડી એટલે લોકરક્ષક દળની પરીક્ષામાં મોરબી આગળ વધ્યું છે. તાજેતરમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી લોકરક્ષક દળની પરીક્ષાનું પરિણામ જાહેર થતા તેમાં મોરબીના 15 યુવાન સિલેક્ટ થયા છે. તેમાં ગૌરવ લેવા જેવી બાબત એ છે કે, લોકરક્ષક દળની પરીક્ષા આસાન ન હોય છતાં યુવકો કરતા યુવતીઓએ હિંમત, આત્મવિશ્વાસ અને કઠોર મહેનતથી મેદાન મારી પોલીસમાં કેરિયર માત્ર યુવાનો જ નહીં યુવતીઓ પણ બનાવી શકે તે બાબતને ખરા અર્થમાં ચરિતાર્થ કરી બતાવી છે. જેમાં મોરબીના પાટીદાર કરીયર એકેડમીમાંથી વિનામૂલ્યે સઘન તાલીમ લઈને નૈમીષ વસિયાણી, સાહિલ કાસુન્દ્રા, વિશ્વરાજ દેત્રોજા, સાવન મેંદપરા, રાજન લો, હિરેન દાવા, શિવાંગી ભાલોડિયા, ભક્તિ સાધરકીયા, ઋત્વિ વસિયાણી, ભાગ્યશ્રી ડઢાણીયા, સંતોષ આદ્રોજા, નિશા સોરીયા, માનસી સુરાણી, નેન્સી કાસુન્દ્રા, ધ્રુવી દેત્રોજા એલઆરડીમાં પસંદગી પામ્યા છે. પાટીદાર કરીયર એકેડમીના ચેરમેન એ.કે.પટેલે જણાવ્યું હતું કે ત્રણ જેટલી યુવતીની આર્થિક સ્થિતિ સાધારણ હોવા છતાં આ બહાદુર દીકરીઓએ ઘરમાં મદદરૂપ થવાની સાથે કપરો સંઘર્ષ કરીને સફળતા મેળવી એ બાબત સમગ્ર નારી જગત માટે કાબેલીદાદ છે. ટ્યુશન કલાસીસ ચલાવી‎કઠોર મહેનત કરી‎ મોરબીના ખેડૂત પરિવારની દીકરી માનસી બળવંતભાઈ સુરાણીનો નાનપણથી ભણી ગણીને આગળ વધવાનો ગોલ નક્કી હતો. માતા પિતા ખેતી કામ કરતા હોય એટલે પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હોવા છતાં અન્ય દીકરીઓની જેમ ક્યારેય પણ ખોટી વસ્તુઓની જીદ કરી નથી અને ઉલ્ટાનું માતા પિતાને મદદરૂપ થવા અને અભ્યાસનો ખર્ચ કાઢવા તે ઘરે ટ્યુશન કલાસીસ ચલાવે છે. તેણે બીએસસી કરેલું છે અને લોકરક્ષક દળની પરીક્ષા માટે દરરોજ સવારે બે કલાક રનિંગની પ્રેક્ટિસ તેમજ બધા સ્ટુડન્ટ સાથે લેક્ચર્સ ટેસ્ટ અને સતત રિવિઝન કરીને સફળતા મેળવી છે. પરીક્ષાની તૈયારી સાથે‎ખેતીનું કામ પણ કર્યું‎ મોરબીના ખેવારિયા ગામે રહેતી ભક્તિ ભગવાનજીભાઈ સાધ્રકિયા કહે છે, બીકોમ કર્યા બાદ લોકરક્ષક દળની પરીક્ષા માટે દરરોજ ચાર વાગ્યે ઊઠીને ટિફિન બનાવીને રનીંગ સહિતની આકરી પ્રેક્ટિસ કરી હતી. આ એકેડેમીમાં સ્ટડી અને ફુલ ડે લાઈબ્રેરીનો યુઝ કરતી. તે ખેડૂત પરિવારમાંથી આવતી હોવાથી ખેતીનું કામ પણ જાતે જ કરતા હતા. ખેતીકામની સાથે એલઆરડીની પરીક્ષામાં કઠોર મહેનત કરીને ઉંચા ગુણે પાસ થઈ છું અને હજુ આટલેથી જ ન અટકતા જીપીએસસીમાં બે ટેસ્ટ કરીને હજુ આગળની તૈયારી કરીને કલાસ વન અધિકારી બનવાની તમન્ના છે. પિતાની તબિયત ખરાબ રહેતી‎હોવાથી કામ પણ કરવું પડતું‎ મોરબીની નિશા મુકેશભાઈ સોરીયાએ પોતાની સફળતા વિશે કહ્યું હતું કે, મેં બીકોમ કરીને ગ્રેજ્યુએશન કર્યું છે. એલઆરડીની પરીક્ષા માટે હું દરરોજ સવારમાં ચાર મહિના ગ્રાઉન્ડ પર દોડની પ્રેક્ટિસ કરતી હતી. પહેલાથી મેં લેક્ચર્સ લીધેલા હતા. પાટીદાર એકેડમીમાંથી અને ફુલ ડે લાઇબ્રેરીમાં આઠથી દસ કલાક જેટલું રીડિંગ તેમજ ડેઈલી ટેસ્ટ પ્લસ મોક ટેસ્ટથી ઘણો ફાયદો થયો હતો. જો કે, મારા ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ હતી અને મારા પપ્પાની તબિયત પણ ખરાબ રહેતી હોવાથી કામ પણ કરવું પડતું.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:26 am

મનપા કમિશનર સ્વપ્નિલ ખરે સાથે સીધી વાત‎:મોરબીના બ્યુટિફિકેશન પર વધુ ધ્યાન આપી, હરિયાળું બનાવવાની ઇચ્છા‎

મોરબી નગરપાલિકામાંથી મહાપાલિકા બન્યા પછી હજુ પણ સિરામિક સિટી મોરબીને અનેક સમસ્યાઓ કનડી રહી છે અને તેમાં ટ્રાફિક અને ગંદકીનો પ્રશ્ન મુખ્ય છે. શહેરની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે રસ્તા તો કોઇ કાળે પહોળા થઇ શકે તેમ નથી, દબાણો વધ્યા છે ત્યારે શહેરની આ સમસ્યાનો ઉકેલ લાવવા મનપાના કમિશનર પાસે ક્યા ક્યા આયોજનો છે, શહેરને વધુ રળિયામણું બનાવવા તેમનું શું વિઝન છે તે સહિતની બાબતો અંગે દિવ્યભાસ્કરે તેમની સાથે વિગતે ચર્ચા કરી મનની વાત જાણી. સવાલ : આપનો પ્રાથમિક પરિચય , આઇએએસ તરીકે આપની સફર,!જવાબ. મારો જન્મ એમપીના ભોપાલમાં થયો હતો, મારા પિતા આઈ એ એસ ઓફિસર હતા. જેથી તેમને નાનપણ સિવિલ ઓફિસર તરીકે જોયા હતા તેમની કામગીરીથી હું પ્રભાવિત હતો અને મે પણ સિવિલ સર્વિસમાં જવાનું નક્કી કર્યું હતું. મારા એક ભાઈ છે જે આઈઆરએસ તરીકે ફરજ બજાવે છે, મારા પત્ની દિલ્હીમાં આઈપીએસ તરીકે ફરજ બજાવે છે. અભ્યાસ આઈ આઈ ટી દિલ્હીમાં અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારે મારું લક્ષ્ય પહેલાંથી જ આઈએએસ બનવાનું હતું. પ્રોબેશન ઓફિસર તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ વિભાગમાં રહ્યા બાદ પાટણ જિલ્લામાં સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ તરીકે પોસ્ટીંગ મળ્યું ત્યાંથી બનાસકાંઠા ડીડીઓ તરીકે પોસ્ટીંગ મળ્યું બાદમાં રાજકોટ ડે મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવી છે સવાલ : 11 મહિનામાં મોરબીમાં તમે શું અનુભવ કર્યો ?જવાબ. મોરબી મનપાના પ્રથમ કમિશ્નર તરીકે જોઈન કર્યું ત્યારે પ્રથમ દિવસથી શહેરની સૌ પ્રથમ સમસ્યા ટ્રાફિક અને સફાઈનો અભાવ જોવા મળ્યો અને તેના શક્ય તેટલા ઝડપથી અને લાંબા ગાળાના ઉકેલ લાવવા પ્રયત્ન છે. લોકોમાં જાહેર મિલકત અને જગ્યા પર સફાઈ બાબતમાં જાગૃતિનો અભાવ છે. સવાલ : મોરબી શહેરની સૌથી મોટી સમસ્યા કઈ માનો છો?જવાબ. મોરબીમાં હાલ સૌથી મોટી બે સમસ્યા છે એક ટ્રાફિક અને બીજી સ્વચ્છતાનો અભાવ. જો કે આ બન્ને સમસ્યામાં તંત્રની સક્રિયતાની સાથે શહેરીજનોનો સહયોગ જરૂરી છે મહાનગરની ભૌગોલિક સ્થિતિ મુજબ વાહનોની સંખ્યા પ્રમાણ રસ્તા સાંકડા અને આવન જાવન માટે એક બ્રીજ કારણભૂત છે. જો કે મનપા બન્યાની સાથે શહેરમાં બે નવા બ્રીજ જેમાં એક આઇકોનિક બ્રીજ તરીકે બનાવવાનું આયોજન કર્યું છે. નવા રસ્તાઓ બ્રીજ વગેરે કામ થશે પણ આ લાંબા ગાળાનું આયોજન છે. સવાલ : કમિશનર તરીકે કામ કરવામાં સૌથી મોટો પડકાર કોને માનો છો ?જવાબ. પાલિકામાંથી મહાનગર પાલિકા બન્યા બાદ તુરત લોકોને તાત્કાલિક સુવિધા ઉપલબ્ધ ન થાય છતાં અમે પ્રયાસ કરી જ રહ્યા છીએ.લોકો જેમ પોતાના ઘરમાં સફાઈ રાખે છે કે ઘરમાં શિસ્તથી રીતે વર્તે છે તેટલું વર્તન શહેરમા રાખે તો શહેરની ઘણી સમસ્યા પર કાબુ મેળવી શકાય.જે તે સમસ્યા મુદ્દે રસ્તા રોકવા કે બિન જરૂરી ઘર્ષણ કરવું એક પડકાર છે. કેટલીક સમસ્યા એવી છે કે જેનું લાંબા ગાળે પરિણામ મળે, લોકો સંયમ જાળવે તે જરૂરી છે. સવાલ : મોરબીના મુખ્ય રસ્તા પહોળા કરવા આયોજન ખરું?જવાબ. મોરબીના મુખ્ય રોડ પહોળા કરવા જે વન વિક વન રોડ અભિયાન ચલાવી શક્ય તેટલા વિસ્તારમાં દબાણ દુર કરીએ છીએ ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવા બે નવા બ્રીજ નિર્માણનું પણ આયોજન છે જેમાંથી એક આઇકોનિક બ્રીજ તરીકે ડેવલપ થશે આ બ્રીજ નિર્માણથી શહેરમાં મયુર બ્રીજ પર ભારણ ઘટશે. નવા ભળેલા ગામના રોડના કબજો ,મેળવી તેના ડેવલપમેન્ટ પ્રકિયા હાથ ધરી છે શહેરના ડીપીઆર માટે પણ સરકારની કંપની જીઆઈપીએલ ને કામગીરી સોપી છે જેનો પ્રાથમિક રીપોર્ટ પણ મળતા કામગીરી ઝડપી થશે. સવાલ : જન્મ મરણના પ્રમાણપત્ર જલદી મળતા નથી ,એ વિશે શું કહેશો?જવાબ. મોરબી મહાનગર પાલિકા દ્વારા જન્મ મરણ પ્રમાણ પત્ર મેળવવા આવતા અરજદારોને મુશ્કેલી ન પડે તે માટે ટોકન વ્યવસ્થા કરી છે. અરજદારોને બેસવાની પાણી સહિતની વ્યવસ્થા છે અમારી ટીમ સક્રિય છે. ઈ ઓળખ સોફ્ટવેર અપડેટ થઇ રહ્યો છે જેના કારણે જે ડેટા ભૂતકાળમાં ક્યારેય ઓનલાઈન ન થયો હોય તે ડેટા મેળવવામાં મુશ્કેલી થાય છે સવાલ : આઈ એ એસ અધિકારી તરીકે યાદગાર ક્ષણ કઈ ?જવાબ. આમ તો મોરબી શહેરમાં આવ્યા બાદથી ઘણા યાદગાર પ્રસંગ ઘણા છે. જો કે તાજેતરમાં બાળકો માટે ધમાલ ગલીનું આયોજન કર્યું તેમાં બાળકોને શેરી રમતો રમતા જોઈ અમને બાળપણ યાદ આવી ગયું. સવાલ : તમે પરિવારથી દૂર છો ત્યારે આવી સ્થિતિમાં તેમનો સહયોગ કેવો?જવાબ. આઈએએસ જેવી જાહેર સેવાની કામગીરી સતત કરવાની રહે છે અને પરિવારથી દુર રહેવું પડે છે આવી સ્થિતિમાં પરિવારનો સહયોગ જરૂરી છે. હાલ ટેકનોલોજીનો યુગ છે જેથી પરિવારથી દુર રહેવા છતાં એક બીજાની કાળજી લઇ શકીએ છીએ. સવાલ : જતા પહેલાં મોરબીમાં તમે કઈ કામગીરી કરવા માગો છો?જવાબ. શહેરના બ્યુટીફીકેશન પર ધ્યાન આપીએ છીએ. શહેરના હયાત ગાર્ડન હતા તેમના રી ડેવલપમેન્ટ કામ ચાલી રહ્યા છે.સરદાર બાગનું કામ પૂર્ણ થયુ છે જયારે સુરજ બાગ કામ ચાલુ છે તો મણી મંદિર સામેના જુના રાણી બાગ જે હાલ નામ શેષ થયો છે તેને ફરીવખત જાગૃત કરવામાં આવનાર છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:24 am

ભાસ્કર બ્રેકિંગ:ડીડીઓને સપ્તાહમાં બે દિવસ ગામમાં ફરવા સરકારનું ફરમાન

રાજ્યમાં 18 હજારથી વધુ ગામ આવેલાં છે. આ ગામોના વહીવટ માટે ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ત્રીસ્તરીય વ્યવસ્થા છે જેના વહીવટીવડા જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) હોય છે. ડીડીઓ પંચાયતની જિલ્લા કચેરીએ હોય છે અને બેઠક માટે જિલ્લા કલેક્ટર કચેરીએ કે પછી ગાંધીનગર જતા હોય છે. જવલ્લે જ તાલુકા મથકે જાય છે અને ગામમાં નિયમિત તો જવાનું ઓછું બને છે. વહીવટીવડા ગામમાં જાય નહીં તો યોજનાઓ છેક સુધી પહોંચતી નથી તેમજ અન્ય સમસ્યાઓને લઈને ઘણી ફરિયાદો આવે છે. જેને લઈને આખરે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે કે, દરેક જિલ્લા વિકાસ અધિકારી હવે સપ્તાહમાં બે વખત પોતાના કાર્યક્ષેત્રના ગામોમાં જશે. સરકારે આપેલા આદેશ મુજબ ડીડીઓ સપ્તાહમાં બે વખત પોતાના કાર્યક્ષેત્રના ગામમાં જશે. અહીં તેઓ સરકારી કચેરીઓ અને સંસ્થાઓ, પંચાયત ઓફિસ, દવાખાના, શાળા અને આંગણવાડી તેમજ જાહેર સ્થળોએ જશે. ગામમાં રોડ રસ્તા અને સ્વચ્છતાની સુવિધાથી માંડી સરકારી યોજનાઓ ખરેખર પહોંચે છે કે નહીં તે જોવાનું રહેશે. ગ્રામજનો સાથે સંવાદ કરી તેમની ફરિયાદ પણ સાંભળવાની રહેશે અને જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. એટલું જ નહીં, આ કાર્યવાહીનો એક રિપોર્ટ તૈયાર કરીને વિકાસ કમિશનરને મોકલવાનો રહેશે. આ નિર્ણય શુક્રવારે સાંજે લેવાયો છે એટલે સોમવારથી ડીડીઓએ તેની અમલવારી કરી હવે પોતાનું કેલેન્ડર તૈયાર કરવાનું રહેશે. 1984-85માં અધિકારીઓ મહિને 2 ગામમાં જતા હતા 1984-85ના વર્ષ દરમિયાન એક પરિપત્ર થયો હતો અને તેમાં સનદી અધિકારીઓએ મહિનામાં બે વખત બે ગામમાં રાત્રી રોકાણ કરવું તેનો નિયમ બનાવ્યો હતો. આ દરમિયાન તેઓએ રાત્રી ગ્રામસભા રાખી લોકોને સાંભળવાના અને વિવિધ સરકારી ઈમારતો, કચેરીઓએ પણ જવાનું હોય છે. જો કે સમયાંતરે આ પરિપત્ર ભુલાઇ ગયો હતો જેથી ફરી સરકારે અધિકારીઓને ગામડે જવા નિયમ બનાવવો પડ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:22 am

અકસ્માત:નંદાણા નજીક ટ્રેક્ટરની ટ્રોલી પલ્ટી ખાઈ જતા પ્રૌઢનું મૃત્યુ

કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના પ્રૌઢ ટ્રેક્ટરની ટ્રોલીમા બેસી જતા હોય દરમિયાન એક કાર ચાલકે પાછળથી ટ્રોલી સાથે ટક્કર મારતા ટ્રોલી પલ્ટી ખાઇ ગઈ હતી જેમાં તેઓનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી કાર ચાલક સામે ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. કલ્યાણપુર પંથકના નંદાણા ગામે ખારા વિસ્તારમાં રહેતા શામજીભાઈ હીરાભાઈ નકુમ નામના પ્રૌઢ ટ્રેક્ટરની ટ્રોલી ઉપર બેસી જતા હોય દરમિયાન નજીક આવેલ રોડ પરથી પસાર થતી જી. જે. ૩૭ બી. ૪૪૪૩ નંબરની આઈ ૨૦ કારના ચાલકે ટ્રોલી પાછળ જોરદાર ટક્કર મારતા શામજીભાઈ નકુમ ટ્રોલી પલ્ટી ખાઈ જતા રોડની સાઇડ નીચે પટકાયા હતા આથી તેઓને માથાના અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવને પગલે મૃતકના પરિવારમાં ઘેરો શોક છવાયો છે. આ બનાવ અંગે કારચાલક સામે જયસુખભાઈ અરજણભાઈ સોનગરાએ કલ્યાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસ અધિકારી સહિતનો સ્ટાફ અકસ્માતના સ્થળપર દોડી ગયો હતો અને કાર ચાલક સામે ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતા. આ બનાવથી મૃતકના પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે. ઉલ્લેખનીય છે કે, દ્વારકા જિલ્લામાં રોજિંદાની જેમ બેફામ દોડતા વાહનોથી જીવલેણ અકસ્માત સર્જાઈ રહયા છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:19 am

સુવિધા:ટેભડા-ગોદાવરી રોડનું રૂા. 3.25 કરોડના ખર્ચે સપાટી સુધારણાના કામનો પ્રારંભ

જામનગર જિલ્લાના ટેભડા-ગોદાવરી રોડનું રૂ. ૩.૨૫ કરોડના ખર્ચે સપાટી સુધારણા કામ શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છેકે વરસાદના કારણે આ માર્ગની સપાટી અતિ ખરાબ હાલતમાં હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જામનગર જિલ્લાના જામનગર તાલુકામાં આવેલા અગત્યના ગ્રામ્ય માર્ગ ટેભડા-ગોદાવરીની સપાટી સુધારણાનું કાર્ય સત્વરે હાથ ધરવામાં આવ્યું છે. ૮ કિમી ની લંબાઈ ધરાવતા આ માર્ગના નવીનીકરણ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. 3.25 કરોડનો જોબ નંબર મંજૂર કરવામાં આવ્યો છે.વરસાદના કારણે આ માર્ગની સપાટી અતિ ખરાબ હાલતમાં હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ તકલીફોને ધ્યાનમાં રાખીને, આ રસ્તા પર સપાટી સુધારણા અને નવીનીકરણની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હતી. આ પ્રોજેક્ટ હેઠળ માર્ગની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો લાવવા માટે માટીકામ, ગુણવત્તાયુક્ત ડામર કામ, સી.ડી. વર્ક્સ હેઠળ કલ્વર્ટ અને ડ્રેનેજ તેમજ રોડ ફર્નિચર અન્વયે સાઈનેજ, માર્ક્સ, વગેરે જેવી કામગીરીઓ કરવામાં આવશે. પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે. બી. છૈયા તથા નાયબ કાર્યપાલક ઇજનેર બી.આર. વસરા દ્વારા ઉપરોક્ત રસ્તાની સપાટી સુધારણાની કામગીરીને અગ્રતા આપીને સત્વરે શરૂ કરાવી દેવામાં આવી છે અને આ ઉપરાંત તેને બનતી ત્વરાએ પૂર્ણ કરાવવામાં આવશે. આ માર્ગનું કામ પૂર્ણ થવાથી ટેભડા, ગોદાવરી સહિતના આસપાસના ગામો તરફ જતા હજારો વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોને સુરક્ષિત અને ઝડપી મુસાફરીનો લાભ મળશે, જેનાથી સમય અને ઇંધણની બચત થશે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:19 am

વિકાસ કામોના ખર્ચને મંજુરી:જામનગરમાં લોકભાગીદારીથી સીસી રોડ સહિતના રૂા. 17.99 કરોડના વિકાસ કામોને બહાલી અપાઈ

જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠક યોજાઇ હતી.જેમાં જુદા જુાદ 17.99 કરોડના વિકાસ કામોના ખર્ચને મંજુરી આપવાનો નિર્ણય લેવાયો હતો. સ્થાયી સમિતિની બેઠકમાં વોર્ડ નં. 16માં ખાનગી સોસાયટી, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતો અને રહેણાંક વિસ્તારમાં લોકભાગીદારીથી માણળાકિય સુવિધાઓની વિકાસ યોજના અર્તગત સી.સી. રોડ, સી.સી. બ્લોકના કામ અંગે રૂ. 250 લાખ, વોર્ડ નં. 14 વિકાસ યોજના અતંગર્ત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે રૂ.60 લાખ, વોર્ડ નં. 7 વિસ્તારોમાં પણ લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે રૂ. 250 લાખ મંજુર કરવાનો નિર્ણય લેવાયો હતો. જયારે વોર્ડ નં. ૯ વિસ્તારમાં સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે રૂ. 250 લાખ , વોર્ડ નં. 14 દિ. પ્લોટ શેરી નં. 59-60માં સી.સી. રોડ બનાવવાના કામ માટે રૂ. ૩૬.૮૨ લાખ. વોર્ડ નં.16 મંગલધામ કનૈયા પાર્ક થી મંગલધામ ના છેડા સુધી સી.સી. રોડના કામ માટે રૂ. 14.16 લાખ , વર્ષ 2025-26 ની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં. 16 માં આશીર્વાદ દિપ સોસાયટી બ્રિજથી કુબેર પાર્ક-3થી અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ એસ.ટી.પી.થી જામનગર રાજકોટ રોડ અને હરીધામ સોસાયટીથી એસ.ટી.પી. સુધી સી.સી. રોડ બનાવવાના કામ અંગે રૂ. 724.70 લાખ સહિતના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. જુદી-જુદી શાખાઓમાં ટેકનિકલ અને વહીવટી કામગીરી માટે જુદી જુદી જગ્યાઓ પર ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓની નવી નિમણૂક અંગેની દરખાસ્ત અન્વયે 6 માસ માટે નવી નિમણુંક આપવાનું મંજુર કરાયું છે. જ્યારે જુદી જુદી જગ્યાઓ ઉપર વધારાની કામગીરી માટે સ્પે. એલાઉન્સની દરખાસ્ત મંજર કરાઇ હતી. ચોકકસ વોર્ડમાં કરોડોના કામો મંજુરજામનગરના ચોકકસ વોર્ડમાં છેલ્લા ચારેક માસથી કરોડોના નવા કામો મંજુર થઇ રહયા છે,તેવો ગણગણાટ કોર્પોરેટરોમાં શરૂ થયો છે.જેમાં એકને ગોળને બીજાને ખોળ જેવી નિતિ અપનાવાતી હોવાનો છુપો આક્રોશ પણ સંબંધિતો વ્યકત કરી રહયા હોવાનુ સામે આવ્યુ છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:17 am

કૃષિ:માર્કેટ યાર્ડમાં સૌથી ઓછો ભાવ સુકી ડુંગળીનો 215 બોલાયો હતો

જામનગર માર્કેટ યાર્ડમાં 878 ખેડૂતો આવતા કુલ 26042 આવક જણસ ની આવક થઈ હતી. જેમાં સૌથી ઊંચો ભાવ જીરું 4035નો બોલાયો હતો. સૌથી ઓછો ભાવ સુકી ડુંગળીનો 215 બોલાયો હતો. જ્યારે સૌથી વધુ આવક કપાસની 11 5 65 મણ થઈ હતી જ્યારે સૌથી ઓછી આવક વટાણા અને તુવેરની 3 મણ નોંધાઈ હતી. જામનગર માર્કેટ યાર્ડમાં શુક્રવારે 878 ખેડૂતો આવતા કુલ 10 251 ગુણી જણસની ઠલવાઈ હતી. જેમાં સૌથી વધુ આવક કપાસની 11 5 65 મણ થઈ હતી જ્યારે સૌથી ઓછી આવક વટાણા અને તુવેરની 3 મણ નોંધાઈ હતી. બાજરી 355 થી 400, ઘઉં 470 થી 565, અડદ 900 થી 1250, તુવેર 100 થી 350 વાલ 700થી 995, ચણા 900 થી 1085, ચણા સફેદ 950 થી 1495, મગફળી ઝીણી 1000 થી 1360, મગફળી જાડી 900 થી 1290, મગફળી 66 નંબર 1050, મગફળી 9 નંબર 1100 થી 1450, એરંડા 900 થી 1336, તલી 1000 થી 2370, રાયડો 950 થી 1303, રાય 1000 થી 16 21, લસણ 575 થી 1140, જીરુ 3500 થી 40 35 , અજમાની ભૂસી 50 થી 1860, ધાણા 1350 થી 1845 , મરચા 1000 થી 3740 બંગડી સુકી 40 થી 215, સોયાબીન 700 થી 895, વટાણા 1000 થી 1450 નો બોલાયો હતો.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:16 am

વાતાવરણ:શહેરમાં ઠંડીનું જોર વધ્યું, પારો 16 ડિગ્રી

જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1 ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન 16 ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિમાં થયેલા વધારા અને તાપમાનમાં ઘટાડો થતા જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ તથા ઉત્તરાખંડમાં હિમવર્ષા થતા ત્યાંના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો માઈનસમાં અથવા સિંગલ ડિઝિટમાં ચાલ્યો ગયો છે. ઉત્તર ભારતના હિમ જેવા ઠંડા પવનના પગલે હરિયાણા, પંજાબ, દિલ્હી, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતમાં પણ હવે ધીમે ધીમે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એક ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન 16 ડીગ્રી અને આંશિક ઘટીને મહત્તમ તાપમાન 28.2 ડીગ્રી નોંધાયું હતું. ઉત્તર ભારતમાંથી આવતા ઠંડા પવનના પગલે જામનગર સહિત સમગ્ર હાલર પંથકમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે. સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી, અને રાતથી વહેલી સવાર સુધી વધારે ઠંડી અનુભવાઈ હતી.જ્યારે મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાતા શુક્રવારે મહતમ તાપમાન 28.5 ડિગ્રી રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 69 ટકા રહ્યુ હતું. વહેલી સવારે પવનનું જોર રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જેના પગલે શહેરના મુખ્ય માર્ગો પર વહેલી સવારે સ્વયંમ સચાર બંધી જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:16 am

પીજીવીસીએલની 41 ટીમો એક્શન મોડમાં:822 જોડાણની ચકાસણી, 103 વીજકનેકશનોમાં‎વીજચોરી ઝડપાઇ, 47.15 લાખનો દંડ ફટકાર્યો‎

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજચોરીનું ‎‎દૂષણ દિવસે દિવસે વધી રહ્યુ છે.‎જેના ડામવા માટે તંત્ર દ્વારા ‎‎વીજચેકિંગ સાથે દરોડાઓ‎પાડવામાં આવી રહ્યા છે. તેમ છતા‎જિલ્લામાં રહેણાંક વિસ્તારો‎સહિતના સ્થળોએ લોકો દ્વારા‎વીજચોરી કરવામાં આવી રહી છે.‎ત્યારે રાજકોટના ચીફ ઈજનેર‎એ.એસ.ચૌધરીની સૂચના‎અનુસાર અધિક્ષક ઇજનેર,‎સુરેન્દ્રનગર એન.એન.અમીનની‎માર્ગદર્શન હેઠળ જિલ્લામાં તા.‎5-12-2025ને શુક્રવારે ચેકિંગની‎કાર્યવાહી હાથ ધરી હતી.‎ જેમાં પીજીવીસીએલની 41 વીજ‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎ચેકિંગની ટીમો દ્વારા ધ્રાંગધ્રા,‎દસાડા તમજ પાટડી તાલુકાના‎જુદા જુદા ગામોમાં વીજ ચેકિંગની‎કામગીરી કરવામાં આવી હતી.‎આ માટે 14 એસઆરપીના‎જવાનો તથા 20 પોલીસ સ્ટાફ‎દ્વારા પ્રોટેકશન આપવામાં આવ્યુ‎હતુ. તેમજ 6 વિડીયોગ્રાફર‎મૂકવામાં આવ્યા હતા. આ વીજ‎ચેકિંગની કામગીરી દરમિયાન ઘર‎વપરાશના 816, વાણિજ્યના 6‎એમ કુલ 822 વીજ જોડાણોની‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎ચકાસણી કરવામાં આવી હતી.‎જેમાંથી ઘર વપરાશના 101 તથા‎વાણિજ્યના 2 એમ કુલ 103 વીજ‎જોડાણોમાં વીજ ચોરી પકડવામાં‎આવી હતી. આ પૈકીના વીજ‎જોડાણો વગરના કુલ 61 વીજ‎ચોરીના કેસ પકડવામાં આવ્યા‎હતા. કુલ 103 વીજ જોડાણોમાં‎વીજચોરી ધ્યાને આવતા રૂ. 47.15‎લાખનો દંડ આપવામાં આવતા‎વીજચોરી કરતા તત્વોમાં દોડધામ‎મચી હતી.‎ ભાસ્કર ઈનસાઈડ‎દરોડામાં 61 જેટલા લોકો મીટર‎વગરના અને સીધા લંગરીયા નાંખીને‎વીજચોરી કરતા ઝડપાઇ ગયા હતા.‎ કયા ગામોમાં દરોડા‎ધ્રાંગધ્રા, દસાડા તથા પાટડી‎તાલુકાના ગામડાઓમાં શુક્રવારે‎પીજીવીસીએલ ટીમોએ કામગીરી કરી‎હતી. જેમાં વાવડી, માલવણ,‎બજાણા, ઝેઝરી, ખેરવા, જૈનાબાદ,‎ધ્રાંગધ્રા શહેર, દેવચરાડી, મીઠાઘોડા,‎ચીકાસર, એછવાડા, એરવાડા,‎વણોદ સહિતના ગામોમાં કામગીરી‎કરવામાં આવી હતી.‎

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:14 am

માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયું:લીંબડીમાં ગ્રીન ટેક્નોલોજી, સ્માર્ટ વેસ્ટ મેનેજમેન્ટ, રિન્યૂએબલ એનર્જી કરી પ્રદૂષણ નિયંત્રણ કરાશે

લીંબડી કેળવણી મંડળ સંચાલિત કોલેજમાં ઈનોવેશન ક્લબ અંતર્ગત રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ નિમિત્તે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના ઈ.પ્રિન્સિપાલ પ્રો.કે.એમ.ઠક્કરે છાત્રોને પ્રસંગોચિત ઉદબોધન કરી પ્રોત્સાહિત કર્યા હતા. ધવલભાઈ આદેશરાએ વિદ્યાર્થીઓ અને કોલેજ પરિવારને પ્રદૂષણને અટકાવવા માટેની ઈનોવેટીવ રીતોના વિષય પર અત્યંત માહિતીસભર અને અસરકારક વક્તવ્ય આપ્યુ હતું. જેમાં તેમણે વાયુ, પાણી, જમીન, અવાજ અને ઈ-વેસ્ટ જેવા પ્રદૂષણના પ્રકારોની માનવજીવન ઉપર પડતી અસર વિશે જાણકારી આપી હતી. પ્રદૂષણના કારણે પૃથ્વી પર વસતા જીવના આરોગ્ય અને પ્રભાવ વિશે જણાવી હાલની પરિસ્થિતિમાં વધતા પ્રદૂષણના કારણો, વિદ્યાર્થીઓ નાના- નાના પગલાં ભરીને પ્રદૂષણ નિયંત્રણ કરવામાં ફેરફાર કરી શકે તે માટે પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે ઈનોવેટીવ પદ્ધતિઓ જેવી કે ગ્રીન ટેક્નોલોજી, સ્માર્ટ વેસ્ટ મેનેજમેન્ટ, રિન્યૂએબલ એનર્જી કરી પ્રદૂષણ નિયંત્રણ કરી શકાય છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ઈનોવેશન ક્લબ કો-ઑર્ડીનેટર ડૉ.એલ.કે.રાણા દ્વારા કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજ પરિવારે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:10 am

એવોર્ડ એનાયત કરાયો:ઘાસપુરના પ્રોફેસરને અતુલ્ય વારસો આઇડેન્ટી એવોર્ડ-2025 એનાયત

ખારાપાટ વિસ્તારના ઘાસપુર ગામના ડૉ. ગિરીશ શાહ કે જેઓ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, પંચમહાલ ખાતે ઈતિહાસ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેઓને ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંશોધન કેન્દ્ર, ગાંધીનગર દ્વારા અતુલ્ય વારસો આઇડેન્ટી એવોર્ડ-2025 કે જેમાં ઇતિહાસ અને સંશોધન ક્ષેત્રમાં તેઓની પસંદગી થયેલ છે. ગાંધીનગર ખાતે એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ મુખ્ય સચિવ પી.કે.લહેરી, ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવ તેમજ સાંઠના મેનેજિંગ ડિરેક્ટર કપિલ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:10 am

શિક્ષણ મંત્રીને કરેલી રજૂઆત ફળી:ધૂળેટીની જાહેર રજાને લઇ બોર્ડની મુખ્ય પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર કરાયો

રાજ્ય શિક્ષણ વિભાગે તાજેતરમાં બોર્ડની પરીક્ષાની તારીખો નક્કી કરી હતી.ત્યારે પરીક્ષાની તારીખ અને રજાની તારીખ મામલે આચાર્ય ઉચ્ચતર માધ્યમીક માધ્યમીક શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. જેમાં આ અંગે સુરેન્દ્રનગ આચાર્ય સંઘના ભરતસિંહ ચાવડાએ જણાવ્યુ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા મુખ્ય પરીક્ષા-2026નું સમયપત્રક પ્રસિદ્ધ કર્યુ હતુ. જેમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની તારીખ 4/3/2026 નક્કી કરી હતી. પરંતુ ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલ જાહેર રજાઓ - 2026ની યાદી મુજબ તારીખ 4/3/2026 ધુળેટી સાર્વજનિક રજા તરીકે જાહેર કરી છે. આ પરિસ્થિતિમાં ધોરણ 10 અને 12ના હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પરીક્ષા અને રજાના દિવસે અસમંજસ સર્જાય છે, જે વિદ્યાર્થીઓની સુવિધા, માનસિક દબાણ, પરિવહન વ્યવસ્થા તેમજ પરીક્ષા વ્યવસ્થાપન માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે એમ છે. તથા ગ્રામ્ય વિસ્તારોમાં ધુળેટી ના દિવસે અવર જવર માં ખુબ મોટી તકલીફો ઉપસ્થિત થઈ શકે છે.આથી વિદ્યાર્થીઓના હિતને પ્રાથમિકતા આપીને મુખ્ય પરીક્ષા-2026ના સમયપત્રકમાં જરૂરી ફેરફાર કરવા જણાવ્યુ હતુ. આથી રાજ્ય સરકાર દ્વારા તારીખોમાં ફેરફાર કરાયો છે. આચાર્ય ઉચ્ચતર માધ્યમીક માધ્યમીક શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી સમયમાં કોઇ ફેરફાર નહીં ધો.10ની પરીક્ષા જે4-3-2026ના રોજ સામાજીક વિજ્ઞાન હતુ તે 18-3-2026 તારીખ કરાઇ જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહનુ 4-3-2026ના રોજ નામાના મુળ તત્વો, ઇતિહાસ, તારીખ 17-3-2026 કરાઇ છે. જ્યારે સામાન્ય પ્રવાહની 4-3-2026ની જીવવિજ્ઞાન અને કૃષી રસાયણ શાસ્ત્ર, અર્થ શાસ્ત્ર વાણીજ્ય સંચાલન, સમાજ શાસ્ત્ર મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર, પદાર્થવિજ્ઞાન અને ગણિતશાસ્ત્ર તારીખ બદલીને 18-3-2026 કરાઇ છે. આ ઉપરાંત ધો.12 સાયન્સની 4-3-2026ની જીવવિજ્ઞાન તારીખ બદલી 16-3-2026 કરાઇ છે.સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમાની તા.4-3-2026 હતીતે હવે 16-3-2026 કરાઇ છે.જ્યારે પરીક્ષાની તારીખ બદલાઇ છે પરંતુ સમય પહેલા હતો તે જ રખાયો છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:09 am

યાત્રીઓ આપે ધ્યાન:રેલવે પિટલાઇનને લીધે 7 ટ્રેન રદ, બે શોર્ટ ટર્મીનેટ કરાઇ

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ અંતર્ગત ભાવનગર ટર્મિનસ સ્ટેશન યાર્ડમાં પિટ લાઇન નંબર–2ના મરામત કાર્ય માટે તા. 08 ડિસેમ્બર2025થી 45 દિવસ સુધી બ્લોક લેવામાં આવવાને કારણે કેટલીક ટ્રેનોના સંચાલનમાં તાત્કાલિક ફેરફાર કરાયા છે. આ સમયગાળા દરમિયાન કેટલીક ટ્રેનો રદ, શૉર્ટ ટર્મિનેશન/ઓરિજિનેશન તેમજ રિશેડ્યૂલ કરાઇ છે. ટ્રેન નંબર 59228/59233 ભાવનગર– સુરેન્દ્રનગર– ભાવનગર, 59267/59268 ભાવનગર– પાલીતાણા–ભાવન ગર ,59269/59270 ભાવનગર– પાલીતાણા–ભાવન ગર, 59229/59230 ભાવનગર– બોટાદ–ભાવનગર, 59204/59271 ભાવનગર– બોટાદ– ભાવનગર, 59235/59236 ધોળા– મહુવા– ધોળા, 09529/09530 ધોળા – ભાવનગર– ધોળા TOD સ્પેશિયલ રદ કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:07 am

વાહનચાલકોને ભારે મુશ્કેલી:કોબા સર્કલ પાસે મોડી સાંજે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ

ગાંધીનગર-કોબા હાઇવે ઉપર કોબા સર્કલ પાસે સાંજના સમયે ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. લગ્નની સિઝન અને ઓફિસ છુટવાના કારણે રોડ ઉપર વાહનો કતારમાં જોવા મળતા હતા. જેમાં અડધો કલાક સુધી વાહન ચાલકોને લાઇનમાં ઉભા રહેવુ પડ્યુ હતુ. ગાંધીનગર શહેરમાં દાયકા પહેલા ટ્રાફિક શબ્દ સાંભળવા મળતો ન હતો. વાહનોની સંખ્યા બહુ ઓછી હતી. હવે ટ્રાફિક વાહન ચાલકો માટે માથાનો દુ:ખાવો બની ગયો છે. શહેરમાં અમદાવાદ તરફ જતા રસ્તાઓ ઉપર ઓફિસ છેટવાના સમયે ટ્રાફિકની સમસ્યા જોવા મળતી જ હોય છે. પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન કરવામા આવતુ હોવા છતા વાહનોની લાઇનો જોવા મળતી હોય છે. ત્યારે ગાંધીનગર-કોબા હાઇવે ઉપર કોબા સર્કલ પાસે સાંજના આશરે 7 વાગ્યાના અરસામાં વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. લગ્નની સિઝન હોવાથી તેની ભારે અસર જોવા મળતી હતી.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:04 am

આયોજન:રાંધેજાની સ્ટોર્મ વોટર લાઇનને 25 કરોડના ખર્ચે 4 તળાવ સાથે જોડી તેમાં વરસાદી પાણી ભરાશે

ગાંધીનગર શહેરમાં વરસાદી પાણી ભરાઇ ન જાય તે માટે સ્ટોર્મ વોટર લાઇન નાંખવામાં આવેલી છે. આ લાઇન મારફતે વરસાદનું પાણી ડ્રેનેજલાઇનમાં અથવા તો સાબરમતી નદીમાં છોડવામાં આવે છે. પરંતુ હવે આ પાણી વ્યર્થ વહી જવાને બદલે શહેરના તળાવોમાં ઠાલવવાની યોજના મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી છે. ચોમાસા દરમિયાન સ્ટોર્મ વોટરલાઇન મારફતે વરસાદી પાણીથી તળાવો ભરેલા રાખવામાં આવશે. પ્રથમ તબક્કે મહાનગરપાલિકા દ્વારા રાંધેજા ખાતે સ્ટોર્મ વોટરલાઇન નાંખવાની સાથે તેને ચાર જેટલા તળાવો સાથે જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. 25 કરોડના ખર્ચે આ કામગીરી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રાંધેજા ટીપ-24માં સ્ટોર્મ વોટર લાઇનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામની સાથે આસપાસના 4 તળાવોને ઉંડા કરીને તેને સ્ટોર્મ વોટરલાઇનની કનેક્ટિવિટીની કામગીરી પણ કરવામાં આવશે. જેથી આ તળાવો ઉંડા થવાની સાથે સ્ટોર્મ વોટર લાઇન મારફતે વરસાદનું પાણી આ ચાર તળાવોમાં ઠાલવવામાં આવશે. તળાવો એ ભૂગર્ભ જળના રીચાર્જનું શ્રેષ્ઠ માધ્યમ છે. શહેરમાં આવેલા કુદરતી તળાવોના ડેવલપમેન્ટ સાથે જમીનમાં પાણીના તળ ઉંચા આવે એ હેતુ પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર લાઇન નાખવામાં આવી છે જેનું પાણી પાઇપલાઇન મારફતે નદીમાં છોડવામાં આવે છે. હજુ નવા અનેક વિસ્તારોમાં સ્ટોર્મ વોટર લાઇન નાંખવાનું આયોજન છે ત્યારે આ લાઇન મારફતે વરસાદનું પાણી આસપાસના તળાવમાં નાંખવાનું આયોજન થઇ રહ્યું છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગ વ્યાસે કહ્યું કે રાંધેજા ટીપી-24માં 25.02 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટરલાઇનનું નેટવર્ક તૈયાર કરવા સાથે આસપાસના વિસ્તારના ચાર તળાવ ઉંડા કરવાની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે. આ સ્ટોર્મ વોટર લાઇનને આ તળાવો સાથે જોડવામાં આવશે. જેથી આ તળાવો ભરેલા રહે અને ભૂગર્ભ જળ રીચાર્જ થઇ શકે.મહાનગરપાલિકા દ્વારા રાંધેજા ટીપ-24માં સ્ટોર્મ વોટર લાઇનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામની સાથે આસપાસના 4 તળાવોને ઉંડા કરીને તેને સ્ટોર્મ વોટરલાઇનની કનેક્ટિવિટીની કામગીરી પણ કરવામાં આવશે. જેથી આ તળાવો ઉંડા થવાની સાથે સ્ટોર્મ વોટર લાઇન મારફતે વરસાદનું પાણી આ ચાર તળાવોમાં ઠાલવવામાં આવશે. 28ના આયોજન પૈકી 9 તળાવ ડેવલપ કરી દેવાયાંગાંધીનગર શહેરમાં 84 જેટલા કુદરતી તળાવો આવેલા છે. મહાનગરપાલિકા દ્વારા કુલ 28 તળાવોના ડેવલપમેન્ટ માટેનો ખાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની અમૃત યોજના હેઠળ અત્યારસુધીમાં વિવિધ વિસ્તારમાં 9 તળાવના ડેવલપમેન્ટની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે જ્યારે અન્યની કામગીરી તબક્કાવાર હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:03 am

હુમલાની ઘટના:પોશીનાના કોટડા ગઢીમાં જમીન બાબતે મતભેદ રાખી કુહાડી, લાકડીઓથી હુમલો

પોશીનાના કોટડા ગઢી ગામની હુરોત ફળોમાં કુટુંબી ભાઈઓએ ગત સોમવારે અને બુધવારે રાત્રે બે વખત સંયુક્ત ખાતાની જમીન બાબતે અમને પૂછ્યા વગર કેમ વેચી કહી કુહાડી લાકડીઓથી એક યુવક અને યુવતીને ઇજાઓ પહોંચાડ્યા બાદ ખેરોજ પોલીસ સ્ટેશનમાં છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. કોટડા ગઢીની હુરોત ફળોમાં રહેતા કિરણકુમાર ભોળાભાઈ સોલંકીના કટુંબીઓ રાજુભાઇ ધર્માભાઇ ગમાર, હાફીસભાઇ ધર્માભાઈ ગમાર, રમેશભાઈ ધર્માભાઇ ગમાર, નજીરભાઈ ધર્માભાઇ ગમાર,વિક્રમભાઈ ધર્માભાઇ ગમાર અને પરશુભાઈ ધર્માભાઇ ગમાર લાકડીઓ અને કુહાડીઓ લઇ ઘેર આવ્યા હતા. તા.30-11-25ના રોજ ખેતર વેચ્યાની વાત કરતો હતો તે તમે બધા ભાઈઓએ ગામમાં આવેલ હરણ વાળું ખેતર અમને પૂછ્યા વગર વેચી માર્યું છે. આ ખેતરમાં અમારા પિતાનો પણ હક છે તેમ કહી અપશબ્દો બોલી હાફીસભાઈ ધર્માભાઇ ગમારે લોખંડની ફેટ કપાળમાં મારી દીધી હતી. ત્યારબાદ 3-12-25ના રોજ રાત્રે દસેક વાગ્યાના સુમારે તમામ છ જણા લાકડીઓ કુહાડીઓ લઈને આવી અપશબ્દો બોલી રહ્યા હતા તેથી કિરણકુમારની બહેન કરીનાબેને અપશબ્દો બોલવાની ના પાડતાં રમેશ ધર્માભાઈ ગમારે લાકડીઓ ફટકારી ઈજાઓ પહોંચાડી હતી. બીજી વખત હુમલો કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:03 am

પ્રજાજન પરેશાન:માલપુરના ઓમનગર નજીક ગટરના ગંદા પાણીથી હાલાકી

અરવલ્લી જિલ્લાના માલપુરની ઓમનગર સોસાયટી નજીક પેટ્રોલપંપ પાસેથી પસાર થતાં માર્ગની આ બદતર સ્થિતિ છેલ્લા 6 માસથી છે. સ્થાનિક રહીશ દિનેશભાઈએ જણાવ્યું કે અનેકવાર રજૂઆતો કરી છે પરંતુ કોઈ દરકાર લેતું નથી. વર્તમાન સમયમાં નાની નાની પંચાયતો પણ ગટર લાઈનની સુવિધા અપનાવી ચૂકી છે. પરંતુ અહીં ખુલ્લી નીક બનાવી નિયમિત સફાઈ પણ કરાતી નથી. સ્થાનિકો પ્રતિદિન આ ગંદકીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે. ગંદુ પાણી ઉભરાવા સહિત રસ્તાની મરામત કરવા પણ દરકાર લેવાઈ નથી.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:03 am

SIRની પ્રક્રિયા અંતિમ ચરણમાં:મતદાર યાદીમાં સુધારા, નામ ઉમેરવાના ફોર્મ 16 પછી લેવાશે

કેન્દ્રિય ચૂંટણી પંચની સૂચનાથી ગાંધીનગર જિલ્લામાં ચાલી રહેલી SIRની પ્રક્રિયા અંતિમ ચરણમાં પહોંચી છે. એમ્યુનરેશન ફોર્મ ભરવાની તારીખ લંબાવાતા હવે 11મી સુધી ફોર્મ ભરી બીએલઓ દ્વારા અપલોડ કરવાની પ્રક્રિયા ચાલશે. આ દરમિયાન મતદાર યાદીમાં ફેરફાર અંગેના કોઇપણ દાવા સ્વીકારવામાં આવશે નહીં. 16મીએ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ જ આ માટેના ફોર્મ સ્વીકારવામાં આવશે. 4 નવેમ્બરથી SIRની પ્રક્રિયા શરૂ થઇ તે સાથે જ મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી કરવા, સરનામા ફેરફાર સહિતના તમામ સુધારા વધારાની પ્રક્રિયા પણ બ્લોક કરી દેવામાં આવી હતી. આ માટેના નિયત કરેલા ફોર્મ સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. SIRની પ્રક્રિયા દરમિયાન અનેક મતદારોના નામ યાદીમાં નહીં હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. નિયમિત મતદાન કરનારા અનેક મતદારોના નામ એકાએક યાદીમાં જોવા મળતા નથી. તેમના એમ્યુનરેશન ફોર્મ પણ જનરેટ થતા નથી. આવા મતદારો હાલ લાચાર સ્થિતિમાં છે. તેઓ ફોર્મ નં. 6 ભરીને નામ દાખલ કરી શકે તેમ નથી. 16મીએ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા પછી ચૂંટણી તંત્ર દ્વારા આ માટેની પ્રક્રિયા ખુલ્લી મૂકવામાં આવશે. જોકે, તેમણે પુરાવા પણ આપવા પડશે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:02 am

ચૂંટણીનો માહોલ:ગાંધીનગર બાર એસો.માં પ્રમુખ બનવા 5, ડિસ્ટ્રિક બારમાં 4 વકીલોએ ઉમેદવારી કરી

ગાંધીનગર જિલ્લા કોર્ટમાં ચૂંટણીનો માહોલ હવે જામી ગયો છે. ઉમેદવારો દ્વારા અંતિમ દિવસે ઉમેદવારી કરવામાં આવી હતી. જેમાં બાર એસોસિએશનમાં પ્રમુખ બનવા 5, જ્યારે ડીસ્ટ્રીક બારમાં પ્રમુખ બનવા માટે 4 વકીલોએ ઉમેદવારી નોંધાવી છે. બંને એસોસિએશનમાં હોદ્દેદાર બનવા માટે કુલ 65 વકીલોએ ચૂંટણીના જંગમાં ઝંપલાવ્યુ છે. જોકે, હજુ આગામી 9 ડીસેમ્બર ફોર્મ પરત ખેંચવાનો દિવસ હોવાથી ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે. રાજ્યની તમામ કોર્ટમાં બાર એસોસિએશનના હોદ્દેદારોની મુદત આગામી 31 ડીસેમ્બરના રોજ પુરી થાય છે. ત્યારે તે પહેલા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં ગાંધીનગર બાર એસોસિએશન અને ડીસ્ટરીક્ટ બાર એસોસિએશન કાર્યરત હોવાથી બંને બારની એક સાથે એક જ સમયે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં આજે 5 ડીસેમ્બરે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. બંને બારમાં અંતિમ દિવસ સુધી અલગ અલગ હોદ્દા માટે કુલ 65 વકીલોએ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવી દીધુ છે. ગાંધીનગર બાર એસોસિએશનમાં પ્રમુખમાં 6 ફોર્મ ભરાયા છે, જેમાં બે વર્તમાન અને પૂર્વ પ્રમુખનો સમાવેશ થાય છે. જ્યારે ઉપપ્રમુખમાં 5, સેક્રેટરીમાં 3, જોઇન્ટ સેક્રેટરીમાં 2, મહિલા પ્રતિનિધિમાં 3, ખજાનચીમાં 2, લાયબ્રેરી સેક્રેટરીમાં 2, જ્યારે કારોબારી સભ્યમાં 16 અને મહિલા કારોબારી સભ્યમાં 4 ફોર્મ સહિત કુલ 43 ફોર્મ ભરાયા છે, તેમ ચૂંટણી કમિશ્નર હસમુખ ચૌધરીએ જણાવ્યુ હતુ. તમામ ઉમેદવારો દ્વારા 9મી પછી પ્રચાર પ્રસાર કરવામાં આવશે. બાર એસોસિએશનની ચૂંટણીમાં જો પ્રમુખ પદના ઉમેદવાર ટસનામસ ના થયા તો ચોક્કસ કાંટે કી ટક્કર જોવા મળશે. જ્યારે ગાંધીનગર ડીસ્ટ્રીક્ટ બાર એસોસિએશનમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર ધવલ મહેતાએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, પ્રમુખ પદ માટે 4, ઉપપ્રમુખમાં 3, સેક્રેટરીમાં 2, જોઇન્ટ સેક્રેટરીમાં 2, ખજાનચીમાં 2, મહિલા પ્રતિનિધિમાં 2, લાઇબ્રેરી સેક્રેટરીમાં 2, કારોબારી સભ્યોમાં 4 અને મહિલા કારોબારી સભ્યમાં 1 ફોર્મ ભરાયુ છે. 11 કારોબારી સભ્યો હોવા જોઇએ, તેમાં મહિલા સાથે 5 ફોર્મ ભરાતા તમામ બિનહરીફ થઇ શકે છે. ડીસ્ટ્રીક્ટ બારમાં કુલ 22 વકીલોએ અલગ અલગ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ પરત ખેંચાવવા એડીચોટીનું જોરબાર એસોસિએશનમાં દિગ્ગજ વકીલોએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવતા પ્રમુખ માટે 6 ઉમેદવારે ફાર્મ ભર્યા છે. જ્યારે ડીસ્ટ્રીક બાર એસોસિએશનમાં પ્રમુખ પદ માટે 4 ફોર્મ ભરાયા છે. બંને એસોસિએશનમાં પ્રમુખ બનવા માટે રસાકસી જોવા મળી રહી છે. ત્યારે હવે ફોર્મ પરત ખેંચાવવા માટે એડીચોટીનુ જોર જોવા મળશે. ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં ચૂંટણી જાહેર થયા બાદ ભારે ઉત્તેજના જોવા મળી રહી છે ઉમેદવારો દ્વારા ઉમેદવારી કરતા પહેલા અને ફોર્મ ભર્યા પછી મત આપવા માટે રીઝવવાનુ શરૂ કરી દેવાયું છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:02 am

બેદરકારીને કારણે અકસ્માતનો ભય:નવા બનેલા રોડ પર કાંકરી ઉખડી, વાહનો સ્લીપ થવાના કિસ્સા વધ્યા

અડાલજથી ઝુંડાલ સુધીના માર્ગને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. કામ દરમિયાન દાખવવામાં આવી રહેલી બેદરકારીને પરિણામે રોડ પર નવીનિકરણ દરમિયાન ઉખડી ગયેલી કાંકરીથી ટુવ્હીલર ચાલકો સ્લીપ થવાના બનાવ બની રહ્યા છે. તંત્ર દ્વારા કામગીરીનું મોનિટરીંગ નહીં થતાં નવા રસ્તા પર પણ આ પ્રકારની સ્થિતિ સર્જાઇ છે. બાલાપીર ચોકડી પાસે ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે માર્ગ અને મકાન વિભાગે ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લીધો છે. ઓવરબ્રિજ સહિતના કામ માટે રૂ.112 કરોડનો ખર્ચ થશે. હાલ હાઇવે પહોળો કરવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. તેને ઝડપથી પૂર્ણ કરવા સૂચના અપાઈ છે. કામ માટે ધાર્મિક સહિતના સેંકડો દબાણો તોડી પાડવામાં આવ્યા છે. પરંતુ કામગીરી ઘણી ધીમી ચાલી રહી છે. બ્રિજની બન્ને બાજુ સર્વિસ રોડ બનાવવાનું આયોજન થયું છે. દબાણો હટાવ્યા બાદ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ નવા બનેલા રોડ પર કાંકરી મોટા પ્રમાણમાં ઉખડી ગઇ છે. જે હટાવવામાં નહીં આવતાં અકસ્માતના બનાવ બની રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:01 am

કૃષિ નિષ્ણાંતે સૂચવેલા પાક સંરક્ષણના ઉપાય:જીરું અને ચણાને જીવાત–રોગથી પાકને બચાવવા ખેડૂતો આટલું કરો

પ્રિય અન્નદાતા, ખેડૂત મિત્રો પાકની વાવણી પછી તેની સંભાળ અને દેખરેખ મહત્વપૂર્ણ છે. કોઈપણ પાકને રોગ અને જીવાતથી સુરક્ષિત રાખી શકાય તો ઉત્પાદન સાથે તેની ગુણવત્તા પણ જળવાઈ રહે છે. આજે આપણે રવિ સિઝનમાં અત્યંત સંવેદનશીલ ગણી શકાય એવા જીરાના પાક અને ચણાના પાકમાં આવતાં મુખ્ય રોગો તથા જીવાતોના નિયંત્રણ વિશે જાણીશું. આપ પણ જીરાના વાવેતર વિશે માહિતી ઈચ્છતા હોવ તો મો.નં. 76980 42396 પર કૃષિ નિષ્ણાંત જીવરાજભાઈ પરમારનો સંપર્ક કરી શકો છો.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:01 am

તસ્કરોનો આતંક:ચિલોડા પાસે ચોરીના બાઇક પર આવી 2 ચોર બુલેટ ચોરી ગયા

શહેરમાં વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે. વાહન ચોર ચોર ચોરીના વાહન લઇને બીજા વાહન ચોરી કરવા આવી રહ્યા છે. જેથી ચોરને પકડવા મુશ્કેલ બની રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે ચિલોડા પાસે ઘર આગળ પાર્ક કરવામાં આવેલા બુલેટની ચોરી કરી બે ચોર પલાયન થઇ ગયા હતા. બંને ચોર સીસીટીવીમાં કેદ થયા હતા. બુલેટ ચોરી કરવા આવેલા ચોર નરોડાથી બાઇક ચોરી કરી આવ્યા હતા. આ બનાવની ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ચિલોડા-હિંમતનગર હાઇવે ઉપર આવેલા શિહોલી ગામની સીમમાં રહેતા દેવાંગભાઇ રાધેશ્યામભાઇ શર્મા ગ્રાફિક્સ ડીઝાઇનરનો ધંધો કરે છે. ત્યારે તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ઉપયોગ માટે એક બુલેટ વસાવ્યુ હતુ. જ્યારે ગત 24 નવેમ્બર દરમિયાન દિવસ દરમિયાન બાઇકનો ઉપયોગ કર્યો હતો અને રાતે ઘર આગળ લાવીને પાર્ક કર્યુ હતુ. જ્યારે બીજા દિવસે બુલેટ લેવા જતા ગાયબ જોવા મળ્યુ હતુ. ઘરના સભ્યો અને આસપાસમાં તપાસ કરતા કોઇ ખબર મળ્યા ન હતા. જેથી ચિલોડા પોલીસ મથકમાં એક લાખની કિંમતના બુલેટની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ઘરે લગાવેલા સીસીટીવી ચેક કરવામાં આવતા તેમાં બે ચોર બુલેટનુ લોક તોડી લઇ જતા જોવા મળ્યા હતા. આ ચોર ચોરી કરવા જે બાઇક ઉપર આવ્યા હતા, તે બાઇક પણ નરોડાથી ચોરી કરવામાં આવ્યુ હતુ અને બાઇક ચોરી કરી હિંમતનગર તરફ જતા જોવા મળ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:01 am

એરપોર્ટ પર લગેજનો ખડકલો:ઇન્ડિગોનાં 25 કાઉન્ટર બંધ, 25 હજાર લોકો રઝળ્યાં, ટર્મિનલ પર અવ્યવસ્થા સર્જાતા પેસેન્જરોને કાઢી મુકાયાં

ઇન્ડિગો એરલાઇન્સની મોટા ભાગની ફ્લાઇટો રદ રહેવાને કારણે એરપોર્ટ પર 25 હજારથી વધુ પેસેન્જરે આખી રાતથી સવાર સુધી ટર્મિનલમાં રઝળવું પડ્યું હતું. એરલાઇન સ્ટાફ પાસે ફ્લાઇટની કોઈ માહિતી ન હોવાથી પેસેન્જરો રોષે ભરાયા હતા. એરપોર્ટ પર પરિસ્થિતિ બેકાબૂ બનતા ઇન્ડિગોએ શુક્રવારે બપોરે અઢી વાગે તમામ 25 કાઉન્ટર બંધ કરી પેસેન્જરોને ટર્મિનલની બહાર કાઢી મૂક્યા હતા. ડોમેસ્ટિક-ઇન્ટરનેશનલની 170માંથી 28 ફલાઇટ જ ઓપરેટ થઈ હતી અને 142 ફલાઇટો રદ કરાતા પેસેન્જરો ઘરે પરત ફર્યા હતા. કેબમાલિકોએ ડબલ ભાડાં લીધાં, ઘણા લગ્ન ચૂક્યા, ઘણાની ટ્રિપ રદ ફ્લાઇટ રદ થતાં માલદીવનો આખો પ્લાન રદ કરવો પડ્યોઅમેરિકન સિટીઝન છીએ. હાલ અમદાવાદ લગ્નમાં આવ્યા છીએ. આજે માલદીવની સવારે ત્રણ વાગ્યે મુંબઈથી ફલાઇટ હતી. દોઢ લાખનું પેકેજ અને એક લાખની ટિકિટ હતી. હવે હોટેલ સંચાલકો વાઉચર આપવાનું કહે છે, અમારો આખો પ્લાન રદ થઈ ગયો. > સમકિત મહેતા ગોવાની ટ્રિપ જ કેન્સલ કરવી પડી, અઢી લાખનું નુકસાનમારી ગોવાની ફ્લાઇટ હતી. છ કલાક બાદ પણ ફ્લાઇટ વિશે કોઈ અપડેટ ન મળી. સ્ટાફ મદદ કરવા તૈયાર નહોતો. આખરે અમારું 10 લોકોનું ગ્રૂપ ઘરે પરત ફર્યું. તાજમાં બુકિંગના એડવાન્સ પૈસા ચૂકવાઈ ગયા હોવાથી રિફંડ કરતા નથી. અઢી લાખનું નુકસાન થયું. > શાર્વિલ ગજ્જર

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:00 am

કલેક્ટરનો નો-પાર્કિંગનો આદેશ માત્ર કાગળ પર:પાટણ શહેરમાં બસ સ્ટેશન રૂટ પર ખાનગી વાહનો બેફામ પાર્ક

પાટણમાં લાંબા સમય બાદ જૂના બસ સ્ટેશનનું નવીનીકરણ પૂર્ણ થતાં તે ફરી કાર્યરત થવા જઈ રહ્યું છે.જોકે, આ વિસ્તાર હોસ્પિટલો અને મુખ્ય બજાર વચ્ચે આવેલો હોવાથી ટ્રાફિકજામની સમસ્યા ઊભી થઈ છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ તુષાર ભટ્ટ દ્વારા 24મી નવેમ્બરે શહેરના મુખ્ય માર્ગો (જયવિરનગર, બગવાડા, આનંદ સરોવર સુધી)ને નો-પાર્કિંગ ઝોન અને આદર્શ સ્કૂલ બ્રિજ પાસે વન-વે જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું.​ પરંતુ સ્થળ તપાસ કરતાં હકીકત તદ્દન અલગ છે. જાહેરનામાને એક સપ્તાહ વીતી જવા છતાં રેલવે સ્ટેશનથી બગવાડા અને બગવાડાથી આદર્શ સ્કૂલ તરફ જવાના માર્ગો પર ખાનગી વાહનો બેફામ રીતે પાર્ક થયેલા જોવા મળ્યા હતા.વહીવટી તંત્રની ઢીલી નીતિને કારણે કલેક્ટરનું આ મહત્વનું પગલું માત્ર કાગળનો ટુકડો બની રહ્યું હોય તેવું ફલિત થઈ રહ્યું હોવાની સ્થાનિક વેપારીઓ દ્વારા રાવ કરી હતી. અમલીકરણ માટે આયોજન કર્યુ,હવે કામગીરી શરૂ કરાશે શહેર ટ્રાફિક PSI અરવિંદભાઈ ચૌધરી જણાવ્યું હતું કે શહેરમાં જાહેરનામાંની અમલવારી માટે આદર્શ રોડ ઉપર ત્રણ પોલીસ પોઇન્ટ મૂક્યા છે.રેલવે સ્ટેશનથી બગવાડા દરવાજા સુધી ટ્રાફિકની ડ્રાઇવ કરાશે અને જાહેર રોડ ઉપરના ખાનગી વાહનોચાલકો સામે ગુના નોંધવામાં આવશે.બસ સ્ટેશન શરૂ થાય એટલે ટ્રાફિક હટાવાશે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:00 am

ભાસ્કર એક્સક્લૂસિવ:સ્નાતક સંઘના સો વર્ષ, 10 હજાર વિદ્યાર્થીને શોધ્યા, કોઈ લગ્નમાં, કોઈ પદયાત્રામાં મળ્યા

આજે અને આવતી કાલે ગૂજરાત વિદ્યાપીઠનો સ્નાતક સંઘ શતાબ્દી સમારોહ યોજાઈ રહ્યો છે. શતાબ્દી સમારોહ માટે 10 હજારથી વધુ પૂર્વ વિદ્યાર્થીઓને નિમંત્રણ અપાયું છે પણ એ માટે આટલા બધા પૂર્વ વિદ્યાર્થીઓને શોધ્યા કઈ રીતે એ ઘટના રસપ્રદ છે. કુલપતિ હર્ષદ પટેલ કહે છે, ઉજવણી માટે 7 ફૅકલ્ટીના 18 વિભાગ દ્વારા પૂર્વ વિદ્યાર્થીઓની નામાવલિ બનાવવાનું, અત્યારનાં સરનામાં શોધવાનું કામ શરૂ કરાયું હતું. આ માટે ગાંધીયુગીન પદયાત્રા, પત્રવ્યવહાર, પુસ્તકાલયની સાથેસાથે સાંપ્રત સોશિયલ મીડિયા, વોટ્સઅપ, મિસ્ડ કૉલ થકી પૂર્વ વિદ્યાર્થીઓનાં ઠામ-ઠેકાણાં શોધ્યાં. વિદ્યાપીઠે 11થી 15 નવેમ્બર સુધી આખા રાજ્યમાં સ્વદેશી પદયાત્રા યોજી હતી. એ યાત્રા ફરીને જ્યાં જેટલા પૂર્વ વિદ્યાર્થી મળે એટલાને શોધીને નિમંત્રણ અપાયાં હતાં. જેમનાં સરનામાં હતાં એમની સાથે પત્રાચાર કરીને બોલાવાયા હતા. એટલું જ નહીં, પુસ્તકાલયના રેકોર્ડમાં જે-તે સમયે પુસ્તક અપાયું હોય તેની નોંધમાંથી નામ શોધીને સંપર્ક કરાયો હતો. એ સિવાય સોશિયલ મીડિયામાં સ્નાતક સંઘ શતાબ્દીની પોસ્ટ મૂકીને પૂર્વ વિદ્યાર્થીઓને જાણ કરાઈ હતી. આ રીતે પણ પૂર્વ વિદ્યાર્થીઓ મળ્યાકુલપતિને લગ્નપ્રસંગમાં એક મહિલાનો પરિચય થયો. પોતે વિદ્યાપીઠમાં ભણ્યાં હોવાનું એ મહિલાએ કહ્યું એટલે કુલપતિએ ત્યાં નિમંત્રણ આપ્યું. ગ્રાફિક ડિઝાઇનર યોગેશ પ્રજાપતિ પદયાત્રા કરતાં લુણાવાડાના સેણાદરિયા ગોરાડા ગામે પહોંચ્યા. ત્યાં પ્રભાતફેરી ટાણે વડીલ હીરાભાઈ પટેલ સાથે મુલાકાત થઈ ત્યારે તેમણે પણ વિદ્યાપીઠમાં હિન્દીમાં સ્નાતક થયાનું કહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:00 am

સેમિનાર યોજાયો:જંગરાલ હાઈસ્કૂલમાં આત્મહત્યા નિવારણ વિષયક જાગૃતિ સેમિનાર

સરસ્વતીના જંગરાલ મહારાણા પી. જે. હાઇસ્કૂલ ખાતે મેન્ટલ હેલ્થ અવરનેસ અને આત્મહત્યા નિવારણ વિષયક જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ, તણાવનું યોગ્ય સંચાલન, ભાવનાત્મક સંતુલન, તેમજ આત્મહત્યા નિવારણ અંગે ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમ દ્વારા અત્યંત અસરકારક અને સરળ ભાષામાં સમજણ સાથે વિદ્યાર્થીઓને મનસ્વસ્થ રહેવા અપનાવી શકાય એવા ઉપાયો તથા મદદ મેળવવા માટે ઉપલબ્ધ સહાય વ્યવસ્થાની સ્પષ્ટ જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ભારતીબેન ચૌધરી,નિલેશાબેન ચૌહાણ, સચિનભાઈ ચૌહાણ સહિત શાળાના આચાર્ય અને સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:00 am

પૂ.રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનો 5મો દિવસ:પત્રકાર,કથાકાર અને કલાકાર નિષ્ઠાપૂર્વક કાર્ય કરે તો સરકાર પણ બરાબર કામ કરે છે : પૂ.રમેશભાઈ ઓઝા

પાટણના અનાવાડા હરિઓમ ગૌશાળામાં ચાલી રહેલી ભાગવત કથામાં કથાકાર રમેશભાઈ ઓઝા કથા રસપાન કરાવતા જણાવ્યું હતું કે ભાગવતના પાંચમા સ્કંધમાં વર્ણન છે 48 પ્રકારના નર્ક હોય છે પ્રારબ્ધ અનુસાર જાતિ આયુષ્ય અને ભોગ નક્કી થાય છે કર્મના પણ પ્રકાર હોય છે ભાથામાં પડેલું અને ધનુષ્ય ઉપર ચડેલું બાણ એટલે સંચિત કર્મ અને પ્રારબ્ધ એટલે છૂટી ગયેલું બાણ. દેવોને પણ દુઃખ પડે છે તો માનવ શું કામ રડે છે ભાગ્યમાં લખેલું સૌને ભોગવવું પડે છે રામ સીતા વનવાસ પામ્યા કૃષ્ણ જેલમાં જન્મ્યા અને તરત જ ભાગવું પડ્યું હતું. ચૂંટણી અંગે તેમણે જણાવ્યું છે કે જેઓ મતદાન નથી કરતા તેમને બગડેલી રાજનીતિની ટીકા કરવાનો અધિકાર નથી. પ્રજા તંત્ર શ્રેષ્ઠ છે. પરંતુ પ્રજા જાગૃત હોવી જોઈએ. પત્રકાર, કથાકાર અને કલાકાર નિષ્ઠાપૂર્વક કાર્ય કરે તો સરકાર પણ બરાબર કામ કરે છે.સવારના પહેલા વિચારને પત્રકાર પ્રભાવિત કરે છે કલાકાર રાત્રે અને કથાકાર વચ્ચેના સમયમાં માર્ગદર્શન કરે છે. ભીડ અને સમાજ વચ્ચે અંતર છે ભીડમાં માથા હોય છે જ્યારે સમજદાર લોકોનો સમૂહ એટલે સમાજ મૌનએ વાણીનો અને સંયમ એ ઇન્દ્રિયોનો દંડ છે ગુનાખોરી અટકાવવી હોય તો નિશાળના દંડ બંધ ન કરવા જોઈએ. ગૃહસ્થો માટે ક્રોધ લોભ કામ જરૂરી છે પણ ધર્મથી તે પરિચિત હોવા જોઈએ છે. મનને શુદ્ધ કરવા માટે વૈદિક કર્મ કરવું જરૂરી છે દંભથી બચવા સદગુરુ અને સંતોના સંગમાં રહેવું જોઈએ જેણે તમને મોટા કર્યા છે એની સામે મોટાઇ ન કરો સદાય નાના બનીને રહો. ભાગવતમાં કહ્યું છે કે સવારે કલાક સત્કર્મ અને સાંજે સત્સંગ કરો. ભાગવત કથા નિત્ય અને રોજ કરવી જોઈએ. સત્સંગમાં જે વિવેક જ્ઞાન પ્રાપ્ત કર્યો હોય તેને આચરણમાં લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આજકાલ ટેરીફની વાતો ચાલે છે એ સત્યાનાશ કરવાનો વિચાર છે પહેલા ઘરના બિયારણથી ખેતી કરવામાં આવતી હતી હવે તે બીજ ઊગી ન શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે બિયારણ બહારથી લાવવું જ પડે છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:00 am

વાહનચાલકોના જીવ જોખમમાં:35 પેસેન્જર ભરેલી બસ પર ફરી પથ્થરમારો ડ્રાઈવરની કોણીમાં પથ્થર વાગતાં ઈજા થઈ

શહેરના હુડકો અને આજીડેમ ચોકડી વચ્ચે રાત્રીના રોડ પરથી પસાર થતા વાહનચાલકોના જીવ જોખમમાં હોય પરંતુ પોલીસની લાપરવાહીના કારણે 35 પેસેન્જર સાથે પૂરપાટ જઈ રહેલી ખાનગી બસ પર ફરી પથ્થરમારો થતા કાચ તોડીને પથ્થર ડ્રાઈવરની કોણીમાં લાગ્યો હતો. છેલ્લા છ મહિનામાં આ ચોથો બનાવ છે કે, જેમાં પૂરપાટ ચાલતા વાહનોના કાચ પર એકાએક કોઈ શખ્સ પથ્થરમારો કરી લોકોના જીવને જોખમમાં મુકવાનું કૃત્ય આચરે છે પરંતુ પોલીસ આરોપી સુધી પહોંચી શકી નથી. આ બનાવમાં જૂનાગઢ જિલ્લાના ડુંગરપુર ગામે રહેતા રાહુલભાઈ ભીખાભાઈ ધાધલ(ઉં.વ.23)એ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે બે વર્ષથી ડ્રાઈવિંગ કામ કરે છે અને સંજયભાઈ જેબલિયાની રામનાથ ટ્રાવેલ્સ નામની લક્ઝરી બસ હંકારે છે. ગત તા.03/12ના રોજ સાંજના સાતેક વાગ્યે પોતે બસ ચલાવીને બિલખાથી સુરત જવાના રૂટ પર 35 જેટલા પેસેન્જરોને બેસાડીને નીકળ્યો હતો. ત્યારે રાત્રીના સાડા અગિયારેક વાગ્યા આસપાસ બસ ગ્રીનલેન્ડ ચોકડી તરફ જવાની સાઈડે આજીડેમ ચોકડીનો પૂલ ચડતા જ અચાનક જ બસના આગળના કાચ પર કોઈ અજાણ્યા શખ્સે પથ્થરનો ઘા ઝીંકાયા હતા. પોલીસ પેટ્રોલિંગ જરૂરી: છ મહિનામાં ચોથો બનાવ, આરોપી હજુયે પોલીસ પકડથી દૂરશહેરના આજીડેમ ચોકડી નજીકના વિસ્તારમાં રાત્રીના વારંવાર ટ્રાવેલ્સ બસના કાચ પર ચાલુ બસે પથ્થર મારી લોકોના જીવ જોખમમાં મુકાય તેવું કૃત્ય કોઈ અજાણ્યા શખ્સ કે સંગઠન દ્વારા આચરવામાં આવે છે. છેલ્લા છ મહિનામાં સમયાંતરે આવી આ ત્રીજી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ ચૂકી છે. પરંતુ પોલીસ દ્વારા આ મામલે આંખ-કાન આડા હાથ કરવામાં આવતા હોય એમ તપાસના નામે માત્ર ફરિયાદ લઇ કાગળો કરી ફાઈલ સંકેલી લેવામાં આવે છે. બસના કાચ પર પથ્થરના ઘા ઝીંકનાર શખ્સ સુધી પોલીસ હજુ સુધી પહોંચી શકી નથી. જો,કે સદનસીબે કોઈ પણ વખતે કોઈપણ જાતની જાનહાની થયેલ નથી. પરંતુ લોકોના જીવને જોખમમાં મુકનાર આ શખ્સ સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ. અવાર-નવાર આ પ્રકારનું કૃત્ય આચરનાર શખ્સને પકડી લઇ તેના વિરુદ્ધ ધોરણસરના પગલાં લેવા જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:00 am

અકસ્માતને નોતરું:તલોદના રણાસણથી શીકા ચોકડી જતાં માર્ગે માટીના ઢગલાથી ચાલકોમાં અકસ્માતનો ભય

તલોદના રણાસણથી શીકા ચોકડી સુધીના માર્ગ ઉપર ગરનાળાના કામમાં માટીના ઢગલાથી અકસ્માતનો ભય વાહનચાલકોને સતાવી રહ્યો છેે. રણાસણ ચોકડી ઉપર નવીન સર્કલ બનતાં કોઈ ડાયવર્ઝન કે રેડિયમ પટ્ટી ન લગાવી શિવપુરા કંપા કિશોરપુરા ચોકડી પર માટીના ઢગલા કરી દેતાં વાહન ચાલકોને હાલાકી થઇ છે. ગત રાત્રે પાલનપુર ધાનેરાથી સાઠંબા લગ્નમાં જઈ રહેલા ભાનુભાઈ ચૌધરીની ગાડી નંબર.UP.16.B D.8167ને શિવપુરા કંપા નજીક માટીના ઢગલા ન દેખાતાં ગાડી 10 ફૂટ ઊંચી કૂદી સાઈડમાં પડી હતી ત્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં રણાસણ થી 108 મારફતે હિંમતનગર સારવાર અર્થે ખસેડાયો હતો. રાત્રિ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા રેડિયમ પટ્ટી બેરિકેટ મૂકવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે. અકસ્માત થતાં થોડીવાર માટે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. કોન્ટ્રાક્ટરો દ્વારા ગંભીર બેદરકારી દાખવી રોડ ઉપર માટીનો ઢગલો કરી દેતાં રાત્રે વાહન ચાલકોને દેખાતું નથી અને રાત્રે દરમિયાન અકસ્માત સર્જાય છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:00 am

ભાસ્કર બ્રેકિંગ:હવે મેટ્રો પાલડીથી દાણીલીમડા થઈ ગીતામંદિર સુધી દોડશે

કોમનવેલ્થ, ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ ઓથોરિટીએ વધુ 83 કિમીના નવા રૂટની યોજના બનાવી છે. આ નવી યોજના હેઠળ વર્તમાન પાલડી મેટ્રો સ્ટેશનથી દાણીલીમડા થઈને ગીતા મંદિર થઈને કાંકરિયાના રૂટથી એપેરલ પાર્કને જોડતા સાડા નવ કિમીના આ નવા રૂટનો ડીપીઆર તૈયાર થઈ રહ્યો છે. 2,850 કરોડના ખર્ચે નવો રૂટ આવતાં ચાર વર્ષમાં બનાવવાનું આયોજન છે. ઉપરાંત મેટ્રોનો સર્ક્યુલર રૂટ 35.74 કિમી રહેશે, જે 10,675 કરોડના ખર્ચે તૈયાર થશે. આ રૂટ વાસણા એપીએમસી સ્ટેશનથી આગળ વધી પિપળજ, નારોલ, સીટીએમ, બાપુનગર થઇને નરોડા અને ત્યાંથી સિવિલ હોસ્પિટલ, શાહીબાગ થઇને આરટીઓ સર્કલના હાલના સ્ટેશન સાથે જોડાઇ જશે. આ રૂટનો ડીપીઆર સરકારમાં સબમિટ કરી દેવાયો છે. શહેરને ધોલેરા એક્સપ્રેસ વે સાથે જોડતા સનાથલના રૂટ પર ગોધાવી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થઇને સાણંદને જોડતા નવા મેટ્રો રૂટનું પણ આયોજન થઇ ગયું છે. કેવી રીતે આ પ્રોજેક્ટ આગળ વધશે?જે ડીપીઆર સરકારમાં જમા કરી દેવાયો છે તેના પર ગુજરાત સરકાર પોતાની સ્વીકૃતિ સાથે કેન્દ્રના શહેરી વિકાસ મંત્રાલયને મોકલી આપશે. શહેરી વિકાસ મંત્રાલય આ ડીપીઆરને આધારે પોતાના બજેટની ફાળવણી સાથે મંજૂરી આપે એટલે તરત જ રૂટ પરનું કામ શરૂ થશે. જ્યારે પાલડીથી એસટી સ્ટોપ થઈને એપેરલ પાર્કને જોડતાં રૂટ પરનો ડીપીઆર બે મહિનામાં તૈયાર થઇને ગુજરાત સરકારને મળશે તે પછી ઉપર મુજબની પ્રક્રિયા બાદ આવતાં છ મહિનાની અંદર તેનું કામ પણ શરૂ થઇ જવાની અપેક્ષા છે. મેટ્રોના ટાઇમિંગ અને ફ્રિક્વન્સી વધશેહાલ મેટ્રો સવારે 6.20થી 10 વાગ્યા સુધી દોડે છે. આવતાં વર્ષે રાત્રિના 11 કે 11.30 સુધી મેટ્રો દોડાવાનું આયોજન છે. હાલ મેટ્રો સરેરાશ 7થી 12 મિનિટે મળે છે તેને બદલે 3થી 5 મિનિટની ફ્રિકવન્સી કરવાનું આયોજન છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:00 am

ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:ઇ-ટેન્ડરિંગ નિયમ છતાં ટેન્ડરિંગ વિના એક જ કંપનીને 7.98 કરોડના કામનો 5થી વધુ વાર ઇજારો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2017થી 2020 દરમિયાન ખાણ-ખનિજ ક્ષેત્રના વિકાસ અર્થે રચાયેલા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) ફંડનો ઉપયોગ નિયમોને નેવે મૂકીને કેટલીક ખાનગી કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભાસ્કરની આંતરિક તપાસ, સરકારી દસ્તાવેજો, સ્થળ મુલાકાત તથા ઓડિટ રિપોર્ટના અભ્યાસમાં સામે આવ્યું કે, વિભાગે સુનિયોજિત રીતે ટેન્ડર પ્રક્રિયામાંથી છટકવા કામની નાના ભાગોમાં વહેંચણી કરી હતી. ફરીથી આવેલા ઓર્ડરની 50 ટકાની મર્યાદા અનેકગણી ઓળંગી 207 ટકા સુધી વધારી તેમજ કોઇ પ્રતિસ્પર્ધી વિના એક જ કંપનીને વારંવાર કરોડો રૂપિયાના પ્રોજેક્ટ પધરાવી દીધા હતા. સૌથી ચોંકાવનારું તથ્ય એ છે કે, ઇ-ટેન્ડરના નિયમ અંતર્ગત આવતા હોવા છતાં કુલ રૂા.7.98 કરોડનાં 5થી વધુ કામો એક જ કંપની ‘વીર એન્ટરપ્રાઇઝીસ’ને સીધી નિયુક્તિ દ્વારા જ પીરસી દેવાયાં હતાં. 2024ના અંતમાં ગુજરાત સરકારે ડીએમએફ ફંડની ફોરેન્સિક તપાસ માટે ઓડિટર બિજીત મુખર્જીની નિયુક્તિ કરી હતી. સપ્ટેમ્બર-2025માં સરકારને સુપરત કરાયેલા રિપોર્ટમાં પહેલી વખત ખુલાસો થયો કે, ડીએમએફ ફંડ એ ક્ષેત્રો સુધી પહોંચી રહ્યું જ નથી, જેના માટે તેનું ગઠન થયું છે. ચોક્કસ કંપનીઓને ફાયદો કરાવવા માટે જ ટેન્ડરના નિયમોની છટકબારી શોધી લેવાઇ છે. સૂત્રો મુજબ, રિપોર્ટમાં મોકલાવ્યા બાદ મંત્રાલયે સંબંધિત અધિકારીઓ પાસે ખુલાસો માગ્યો, પરંતુ તેમાં મોટાભાગના જવાબ અધૂરા અથવા વિરોધાભાસી મળ્યા હતા. કેટલીયે ફાઇલોમાં ટેન્ડરિંગનો કોઇ રેકોર્ડ ન હતો, ન જેમ પોર્ટલ કે ન એલ-1 સ્ટેટમેન્ટ હતું. 5 મુદ્દામાં સમજીએ કૌભાંડ કેવી રીતે આચરાયું 1. એક જ કંપનીને 5 વખત ઇજારો અપાયોકાયદાની રૂહે ઇ-ટેન્ડર અનિવાર્ય હતું, પરંતુ વિભાગે તે બહાર જ ન પાડ્યું અને 2017-18માં 57 શાળાઓ તથા 55 આંગણવાડીઓમાં ટેરાફિલ ટેન્ક, ઇસીસીઇ કિટ તથા રમત-ગમતનાં સાધનો જેવાં કામ વીર એન્ટરપ્રાઇઝીસને સીધાં જ આપી દેવાયાં હતાં. દરેક કામની કિંમત રૂા.5 લાખથી વધુ હતી. ફાઇલમાં અધિકારીઓએ કંપનીને કામનો સારો અનુભવ હોવાનું દર્શાવ્યું હતું, પરંતુ અનુભવનું મૂલ્યાંકન કે અન્ય સાથે સરખામણી ન દર્શાવી. 2. રિપીટ ઓર્ડર 207%, મર્યાદા 50% વધારી દેવાઇ2018-19માં ઓપન જિમ પ્રોજેક્ટનું પહેલું ટેન્ડર રૂા.75.15 લાખનું હતું. અમુક મહિના પછી નવા ટેન્ડર વિના જ રૂા.155.79 લાખનો નવો ઓર્ડર એ જ કંપનીને આપી દેવાયો. આ 207 ટકાની વૃદ્ધિ કાયદેસરની 50 ટકાની મર્યાદાથી 4 ગણી વધુ છે. ફાઇલમાં માત્ર એક જ લાઇનની નોંધ કરાઇ કે કાર્યની જરૂરિયાત વધુ છે. તેનું કોઇ વાજબીપણું, સાઇટનો અભ્યાસ કે ફંડની મંજૂરીનો રેકોર્ડ ન મળ્યો. 3. 1.06 કરોડના સીસીટીવીના કામ ટુકડામાં વહેંચી ટેન્ડરનો કાંટો કાઢ્યો2019-20માં સ્કૂલોમાં સીસીટીવી લગાવવાનું કામ કુલ 1.06 કરોડનું હતું. નિયમ મુજબ આ માત્ર એક ટેન્ડરનું કામ હતું, પરંતુ વિભાગે પ્રોજેક્ટના 23-24 ભાગ પાડી દીધા. દરેક ભાગની કિંમત રૂા.5 લાખથી ઓછી રાખી, જેથી ઇ-ટેન્ડરનો વારો જ ન આવે. રેકોર્ડની તપાસમાં સામે આવ્યું કે, કેટલીક વખત એક જ દિવસમાં 2 ઓર્ડર આપી દેવાયા હતા. જેના માટે જેમ પોર્ટલનો ઉપયોગ ન કરાયો તથા એલ-1 તુલના ઉપલબ્ધ ન હતી. જ્યારે અધિકારીઓને પૂછવામાંં આવ્યું ત્યારે તેમનો જવાબ હતો કે, ટેન્ડરિંગ થયું હતું. જોકે ફાઇલમાં કોઇ ટેન્ડર મળ્યું નહીં. 4. ECCE કિટ મોંઘી ખરીદી, નર્મદા જિલ્લાની સરખામણીએ રૂા.63 લાખ વધુ ખર્ચ્યાનર્મદા જિલ્લામાં ઇસીસીઇ કિટની કિંમત પ્રતિ સ્કૂલ રૂા.2.60 હતી, પરંતુ દ્વારકામાં એ જ કિટ પ્રતિ સ્કૂલ રૂા.3 લાખમાં ખરીદાઇ. બંને વચ્ચે રૂા.40 હજારનું અંતર મળ્યું. 42 સ્કૂલોમાં આ જ રીતે કુલ રૂા.63 લાખથી વધુ ખર્ચાયા. ઓડિટરના રિપોર્ટ મુજબ રેટ જસ્ટિફિકેશન શીટ સાથે ચેડાં થયાં હોઇ શકે તથા તુલનાત્મક કિંમત જાણીને નથી લેવાઇ. 5. ફીલ્ડ વિઝિટમાં પોલ ખૂલી, ઓપન જિમનાં સાધનો તૂટ્યાં, કટાઇ ગયાંજે ગામોમાં ઓપન જિમમ બનાવાયાં હતાં ત્યાં ભાસ્કરની મુલાકાતમાં જાણવા મળ્યું કે, મહત્તમ સાધનો તોડી નખાયાં હતાં, બોલ્ટ ઊખડી ગયા હતા, કેટલાંક સાધનોને કાટ લાગ્યો હતો તો કેટલાંકનું ઇન્સ્ટોલેશન જ અધૂરું હતું. સ્થાનિકોએ જણાવ્યું કે, માત્ર ફોટો પડાવી જતા રહ્યા. કોઇએ જાળવણી માટે પાછું વળી જોયું નથી. ઇનસાઇડ; 3 વર્ષ સુધી આ રીતે ચાલતો રહ્યો કૌભાંડનો ખેલ સૌથી પહેલાં પસંદગીની કંપની શોધીઃ કૌભાંડીઓએ સૌથી પહેલાં પસંદગીની કંપની શોધી. બાદમાં દરેક નવો પ્રોજેક્ટ તે જ કંપનીને આપવા માંડ્યા. કેટલીકવાર તો પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલાં જ કંપનીનું નામ નક્કી કરી લેવાતું હતું. નક્કી કિંમતથી ઓછી કિંમત બતાવાતી હતીઃ કેટલાંક કામોની વાસ્તવિક કિંમત રૂ. 8થી 10 લાખ થતી હતી. જોકે ટેન્ડરિંગથી છટકવા ફાઇલમાં તેને રૂ.4.95થી 4.98 લાખ દર્શાવાતી હતી. કારણ કે, રૂ.5 લાખથી વધુનાં કામમાં ઇ-ટેન્ડરિંગ ફરજિયાત હોય છે. બિલિંગ અને સપ્લાયના નિયમો કાગળ પરઃ કેટલીક સ્કૂલોમાં કિટ અને ટાંકીઓ લાગી નહીં, પરંતુ ચુકવણું પૂરેપૂરું બતાવાયું. સ્થાનિક અધિકારીઓની સહી બાદમાં લેવાઇ હતી. ફરિયાદો દબાવવાનો પ્રયાસઃ 2019માં એક બ્લોક સ્તરના અધિકારીએ સીસીટીવી ટેન્ડરમાં અનિયમિતતાની ફરિયાદ કરી હતી. જેની ફાઇલ પાછળથી ખોવાઇ ગઇ , અધિકારીની બદલી કરી દેવાઇ.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:00 am

ઈન્ડિગોએ યાત્રીઓનું દેવાળું કર્યું:...અમદાવાદથી 5 પ્રમુખ શહેરની 28 ફ્લાઇટ ઘટી, સીટ 5040 ઓછી થઇ, ભાડું 18 હજારથી 50 હજાર સુધી વધ્યું

દેશભર સહિત ત્રીજા દિવસે અમદાવાદથી સતત ઇન્ડિગોની અનેક ફલાઇટો રદ અને મોડી પડતા 35 હજાર હજારો પેસેન્જરો હેરાનપરેશાન થઇ ગયા હતા. ઘણાય લોકો મુંબઈ, દિલ્હી, બેંગલુરુમાં યુએસના વિઝા ઇન્ટરવ્યૂ માટે જઇ ન શક્યા તો અનેકના લગ્ન પ્રસંગ બગડ્યો તો, ન્યુ મેરિડ કપલના હનીમૂન પેકેજ પર પાણી ફરી વળ્યા હતા, બીજીતરફ એનઆરઆઈ સિઝન ચાલતી હોવાથી અમેરિકા, કેનેડા, લંડન, ઓસ્ટ્રેલિયાથી આવતા હજારો પેસેન્જરો મુંબઇ,દિલ્હી એરપોર્ટ પર જમવાનું ખુટી પડતા ભુખ્યા તરસ્યા બેસી રહ્યા, સિનિયર સિટિઝનો અનેક બીમારીનો ભોગ બન્યાની દયનીય સ્થિતી જોવા મળી હતી. અમદાવાદથી મુંબઇ, દિલ્હી, બેંગ્લુરુ, ચેન્નાઇ, કોલકાતા જેવા વ્યસ્તરૂટ પર મુસાફરોએ કલાકો સુધી વિલંબ કર્યા બાદ 10 થી 15 ઘણું ભાડું ચુકવીને બીજી એરલાઇનનો સહારો લેવો પડ્યો હતો, અકાશા, એરઇન્ડિ્યા,સ્પાઇસજેટ જેવી એરલાઇનોએ પેસેન્જરોની મજબુરીનો લાભ ઉઠાવી વિવિધ રૂટ ઉંઘાડી લૂંટ મચાવી હતી, પેસેન્જરોએ બે ખી 12 કલાક વિલંબ બાદ ફલાઇટો મળવા છતાં વન-વે ફેર 25 થી 50 હજાર ચુકવવા પડ્યા હતા. જ્યારે ધંધાના કામકાજ તેમજ વિદેશ ફરવા જનાર યુરોપ કેનેડા સિંગાપોર, મલેશિયા વિયતનામ બેંગકોક, શ્રીલંકા કનેક્ટીંગ ફ્લાઇટો ચૂકી ગયા છે અને તમને બીજી એરલાઇનમાં ઉંચા ભાડા ચૂકવવાની નોબત આવી.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:00 am

નારણપુરા વિસ્તારમાં 108 ટીમે સફળતાપૂર્વક કરી રસ્તામાં પ્રસૂતિ:ટીમે તપાસ કરતા બાળકનું માથું બહાર દેખાતું હતું, અત્યારે માતા અને બાળક સુરક્ષિત

નારણપુરા વિસ્તારમાં 108 ઇમર્જન્સી ટીમે ઝડપી કામગીરી કરીને એક ગર્ભવતી મહિલાની રસ્તામાં જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી. 108 ટીમને ગઈકાલે સાંજે 8:14 કલાકે નારણપુરા વિસ્તાર માટે કોલ મળ્યો હતો અને 8:17 કલાકે ટીમ ઘટના સ્થળે એટલે કે શાસ્ત્રીનગર બ્રિજ નીચે પહોંચી ગઈ હતી. થોડા જ સમયમાં બાળકનો સુરક્ષિત રીતે જન્મ કરાવવામાં આવ્યોEMT પાયલ જોશી અને પાઇલટ સિદ્ઘરાજ ભાઈ જાલાએ સ્થળ પર પહોંચતા દર્દી રિક્ષામાં હોવાનું જણાયું હતું. 25 વર્ષીય દર્દી રેખાબેન નવિનભાઈ નાનોમા ત્રીજી પ્રસૂતિના ગર્ભમાં હતાં. ટીમે દર્દીની તાત્કાલિક તપાસ કરતાં વાયટલ્સ નોર્મલ જોવા મળ્યા અને બાળકનું માથું બહાર દેખાઈ રહ્યું હતું. ટીમે રિલેટિવ્સ અને પાઇલટની મદદથી દર્દીને સુરક્ષિત રીતે 108 એમ્બ્યુલન્સમાં શિફ્ટ કર્યા હતા અને ત્યારબાદ તરત જ પ્રસૂતિ પ્રક્રિયા શરૂ કરી. થોડા જ સમયમાં બાળકનો સુરક્ષિત રીતે જન્મ કરાવવામાં આવ્યો. 108 ટીમની ઝડપભરી કામગીરીને કારણે માતા અને બાળક બંને અત્યારે સુરક્ષિતEMT ટીમે નવજાતને સાફ કરી તેને ગરમ રાખવાની તમામ જરૂરી તકેદારી લઈને ત્યારબાદ રિલેટિવ્સને સોંપ્યો. ઘટનાના સમયે ERCP લાઇન વ્યસ્ત હોવાથી ટીમને લાઈન ન મળી, પરંતુ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માતા અને બાળકને નજીકની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. 108 ટીમની ઝડપભરી કામગીરીને કારણે માતા અને બાળક બંને અત્યારે સુરક્ષિત છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 11:06 pm

વરાછામાં દબાણ હટાવો અભિયાન:ધારાસભ્ય કુમાર કાનાણીએ મનપા-પોલીસની કામગીરીનો આભાર માન્યો, કોર્પોરેશન પાસે “જરૂરી ઓટલા ધંધાર્થીઓને રાહત આપો”ની માંગણી પણ કરી

સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનું મુખ્ય કારણ બનેલા આડેધડ દબાણો પર તાજેતરમાં સુરત મહાનગરપાલિકા અને પોલીસે સંયુક્ત રીતે આક્રમક કાર્યવાહી કરી હતી. આ કામગીરીને પગલે વરાછાથી સરથાણા સુધીના બ્રિજ નીચેથી દબાણો અને અસામાજિક પ્રવૃત્તિઓ દૂર થઈ છે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ આ સફળ કામગીરી બદલ મેયર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સહિત સમગ્ર ટીમને પત્ર લખીને આભાર વ્યક્ત કર્યો છે. દબાણ હટાવવાથી નાગરિકોને રાહતધારાસભ્ય કુમાર કાનાણીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે, વરાછામાં થઈ રહેલા બેફામ દબાણોને કારણે ટ્રાફિક સમસ્યાનો ત્રાસ ખૂબ વધી ગયો હતો. નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતા મેયર અને પોલીસ કમિશનરે અંગત રસ લઈને આયોજન કર્યું, જેના કારણે આ સમસ્યા મોટાભાગે દૂર થઈ રહી છે. લોકોને ટ્રાફિકના ત્રાસમાંથી રાહત મળીતેઓએ જણાવ્યું છે કે, આ કામગીરીથી વરાછાની સુંદરતામાં વધારો થયો છે અને લોકોને ટ્રાફિકના ત્રાસમાંથી રાહત મળી છે. તેમણે આ સફળતા બદલ મેયર, કમિશનર, વરાછા ઝોનના અધિકારીઓ, તેમજ વરાછા, કાપોદ્રા અને સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ અને ટ્રાફિક પોલીસનો આભાર માન્યો હતો. દબાણ હટાવવાની કામગીરી રોજબરોજ ચાલુ રાખવી જરૂરી છેદબાણ હટાવવાની સઘન કામગીરી વચ્ચે ધારાસભ્ય કાનાણીએ વધુ એક મહત્વની માંગણી મૂકી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, દબાણ હટાવવાની કામગીરી હજુ પણ સઘન બનાવીને રોજબરોજ ચાલુ રાખવી જરૂરી છે, પરંતુ આ કાર્યવાહીમાં અમુક જગ્યાએ જે લોકો પોતાની જગ્યાએ ઓટલા પર બેસીને ધંધો કરે છે અને જે અનિવાર્ય ન હોય તેવા દબાણોમાં ગણાતા નથી, તેઓ પણ ભોગ બની રહ્યા છે. ધારાસભ્યએ તંત્રને અપીલ કરી છે કે, આવા લોકો અંગે કોઈ ખોટી રીતે હેરાનગતિ ન થાય તે રીતે કામગીરી થાય તે જરૂરી છે. આમ, ધારાસભ્યએ ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટેની સખત કાર્યવાહીને ટેકો આપ્યો છે, પરંતુ સાથે જ નાના અને જરૂરી ધંધા કરતા લોકોને ખોટી રીતે તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવા માટે તંત્રને રજૂઆત કરી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 11:01 pm

ડેપ્યુટી CM સહિત કેબિનેટ મંત્રીઓના અંગત સ્ટાફ માટે નિમણૂક જાહેર:પર્સનલ સેક્રેટરી, એડિ. પર્સનલ સેક્રેટરી અને PA માટે અધિકારીઓની ભરતી કરાશે

રાજ્ય સરકારે મંત્રીમંડળની કાર્યક્ષમતા વધારવા અને વહીવટી કામગીરીને વધુ ઝડપી બનાવવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ કેબિનેટ મંત્રીઓના અંગત સ્ટાફ માટે મહત્વની નિમણૂકો કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ PS (પર્સનલ સેક્રેટરી), એડિશનલ PS (એડિશનલ પર્સનલ સેક્રેટરી) અને PA (પર્સનલ અસિસ્ટન્ટ)ના પદો પર નવા અધિકારી-કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી અમલમાં મુકાઈ છે. કામગીરીને વધુ મજબૂત અને અસરકારક બનાવવા નિર્ણય લેવાયોસરકારના જણાવ્યા મુજબ આ પગલું મંત્રીઓની દૈનિક કામગીરીમાં સંકલન મજબૂત કરવા, નિર્ણય પ્રક્રિયાને ઝડપી બનાવવા અને વહીવટી કાર્યોમાં શિસ્ત તથા કાર્યક્ષમતા લાવવા માટે લેવામાં આવ્યું છે. આ નિમણૂક પામેલા અધિકારીઓ-કર્મચારીઓએ તાત્કાલિક કાર્યભાર સંભાળવાનો રહેશે. આ પહેલાં પણ સરકાર સમયાંતરે મંત્રીઓની કચેરીઓમાં જરૂરી વહીવટી સહાયતા પૂરી પાડવા આવા પદો પર ભરતી કરતી રહી છે. આ વખતની નવી ભરતીથી મંત્રાલયોની કામગીરીમાં વધુ ઝડપ અને પારદર્શિતા આવવવાની અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 10:49 pm

દહેગામમાં માતાએ પાપ છુપાવવા નવજાતને તરછોડ્યું:નિ:સંતાન દંપતીએ દેવદૂત બની હોસ્પિટલ ખસેડી નવજીવન આપ્યું

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં મમતાને લજવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાસણા-હરસોલી રોડ ઉપર એક નિષ્ઠુર માતાએ પોતાનું પાપ છુપાવવા માટે નવજાત બાળકને તરછોડી દેતાં લોકોમાં ફિટકારની લાગણી વરસી રહી છે. જોકે દહેગામના ગણેશપુરા ગામના એક નિઃસંતાન દંપતીએ આ બાળકના દેવદૂત બની સમયસર મદદ કરી તેને નવજીવન આપી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવ્યા છે. નવજાત બાળક જીવન-મરણના જોલા ખાતું મળ્યુંપ્રાપ્ત વિગતો અનુસાર, આજે દહેગામના ગણેશપુરા ગામના મોહનસિંહ રાઠોડ વાસણા-હરસોલી રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ નજીકની ઝાડીમાં લઘુશંકા અર્થે ગયા હતા. ત્યારે અચાનક જ તેમને નાના બાળકનો રડવાનો અવાજ આવ્યો હતો. આથી કુતૂહલવશ તેમણે વનરાજી વિસ્તારમાં તપાસ કરતાં એક ગોદડીમાં લપેટેલું નવજાત બાળક જીવન-મરણના જોલા ખાઈ રહ્યું હતું. માનવતા દાખવી બાળકને પોતાના ઘરે લઈ ગયાઆ દ્રશ્ય જોઈને નિઃસંતાન મોહનસિંગ આશ્ચર્યચકિત થઈ હચમચી ઊઠ્યા ગયા હતાં. તેમણે પળવારમાં જ નવજાત બાળકને તેડી લીધું હતું અને આસપાસના વિસ્તારમાં નિષ્ઠુર જનેતાની શોધખોળ આદરી હતી. પરંતુ નિષ્ઠુર માતાનો કોઈ પત્તો લાગ્યો નહોતો. જોકે બાળક માતાની હૂંફ વિના સતત રડી રહ્યું હોવાથી મોહનસિંગે માનવતા દાખવી તેને લઈને તુરંત પોતાના ઘરે ગયા હતા. દંપતી બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયાજ્યાં મોહનસિંગની પત્નીએ પણ બાળકની સંભાળ લીધી હતી. બાદમાં દંપતી તાત્કાલિક રિક્ષામાં નવજાત શિશુને દહેગામની જાણીતી પ્રથમ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જોકે મોહનસિંગના કહેવા મુજબ જાણીતી પ્રથમ હોસ્પિટલ દ્વારા બાળક માટે જગ્યા નહીં હોવાનું કહીને તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ જવાની સલાહ આપવામાં આવી હતી. ડોક્ટરોએ તાત્કાલિક સારવાર શરૂ કરીઆથી નિઃસંતાન દંપતીએ પળનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી અને 108 એમ્બ્યુલન્સ મારફતે દંપતી નવજાત શિશુને લઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે આવી પહોંચ્યું હતું. અહીં ફરજ પરના ડોક્ટરોએ તાત્કાલિક સારવાર શરૂ કરીને હાલમાં બાળકને સઘન સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે બાળકની માતાને શોધી કાઢવા તપાસ હાથ ધરીઆ બનાવની જાણ થતાં દહેગામ પોલીસે પણ નિષ્ઠુર માતાને શોધવા માટે ઘનિષ્ઠ તપાસનો દોર હાથ ધર્યો છે. પોલીસે બાળકની માતાને શોધી કાઢવા માટે આસપાસના વિસ્તારમાં પૂછપરછ અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 10:21 pm

ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેન્સલ થતાં રેલવેની તૈયારી:રેલવે દ્વારા મુસાફરોની મુસાફરીની સરળ બનાવવા માટે 37 ટ્રેનોમાં 116 વધારાના કોચ તૈનાત, જુઓ આખું લિસ્ટ

ઈન્ડિગોની ફ્લાઇટ રદ થવા વચ્ચે રેલવેએ મુસાફરોની મુસાફરી સરળ બનાવવા માટે 37 ટ્રેનોમાં 116 વધારાના કોચ તૈનાત કર્યા છે. ભારતીય રેલ્વેએ વધારાના કોચ દોડાવવા નિર્ણય લીધો છે. ઈન્ડિગોની ફ્લાઇટ રદ થયા પછી મુસાફરોની માંગમાં વધારો થવા વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. દેશભરમાં 114 થી વધુ ટ્રિપ્સનું સંચાલન કરે છેભારતીય રેલ્વેએ સરળ મુસાફરી અને સમગ્ર નેટવર્કમાં રહેવાની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે 37 ટ્રેનોમાં 116 વધારાના કોચનો વધારો કર્યો છે. વ્યાપક ઇન્ડિગો ફ્લાઇટ રદ થયા પછી મુસાફરોની માંગમાં વધારો થયો છે. રાષ્ટ્રીય પરિવહન કંપનીએ 116 વધારાના કોચ સાથે 37 ટ્રેનોમાં વધારો કર્યો છે, જે દેશભરમાં 114 થી વધુ ટ્રિપ્સનું સંચાલન કરે છે. 18 ટ્રેનોમાં ક્ષમતા વધારી દક્ષિણ રેલ્વે એ સૌથી વધુ સંખ્યામાં વધારો કર્યો છે, 18 ટ્રેનોમાં ક્ષમતા વધારી છે. ઉચ્ચ માંગવાળા રૂટ પર વધારાના ચેર કાર અને સ્લીપર ક્લાસ કોચ તૈનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ, ઉત્તર રેલ્વેએ આઠ ટ્રેનોમાં 3AC અને ચેર કાર ક્લાસના વધારાના કોચ ઉમેર્યા છે. આજથી અમલમાં મુકાયેલા આ પગલાંથી ભારે મુસાફરી કરતા ઉત્તરીય કોરિડોર પર ઉપલબ્ધતામાં વધારો થયો છે, એમ તેમાં જણાવાયું છે. 2AC કોચ સાથે રાજેન્દ્ર નગર-નવી દિલ્હી સેવાને મજબૂત બનાવીપશ્ચિમ રેલ્વેએ 3AC અને 2AC કોચ ઉમેરીને ચાર ઉચ્ચ માંગવાળી ટ્રેનોમાં વધારો કર્યો છે. 6 ડિસેમ્બર 2025 થી અમલમાં આવનારા આ વધારા, પશ્ચિમી પ્રદેશોથી રાષ્ટ્રીય રાજધાની સુધીના મજબૂત મુસાફરોની અવરજવરને પૂરી પાડે છે. પૂર્વ મધ્ય રેલ્વેએ 6-10 ડિસેમ્બર 2025 વચ્ચે પાંચ ટ્રીપમાં વધારાના 2AC કોચ સાથે રાજેન્દ્ર નગર-નવી દિલ્હી (12309) સેવાને મજબૂત બનાવી છે, જે આ મહત્વપૂર્ણ બિહાર-દિલ્હી સેક્ટર પર ક્ષમતામાં વધારો કરે છે. ઓડિશા અને રાજધાની વચ્ચે જોડાણમાં સુધારો થયોપૂર્વ કોસ્ટ રેલ્વે એ ભુવનેશ્વર-નવી દિલ્હી સેવાઓ (ટ્રેન 20817/20811/20823) માં પાંચ ટ્રીપમાં 2AC કોચ ઉમેરીને વધારો કર્યો છે, જેનાથી ઓડિશા અને રાજધાની વચ્ચે જોડાણમાં સુધારો થયો છે. પૂર્વીય રેલ્વેએ ત્રણ મુખ્ય ટ્રેનોમાં વધારાનો અમલ કર્યો છે, 7-8 ડિસેમ્બર 2025 ના રોજ છ ટ્રીપમાં સ્લીપર ક્લાસ કોચ ઉમેરીને, પૂર્વમાં વધેલી પ્રાદેશિક અને આંતર-રાજ્ય મુસાફરી માંગને પૂર્ણ કરી છે. ઉત્તરપૂર્વ સરહદી રેલ્વેએ 6-13 ડિસેમ્બર 2025 દરમિયાન આઠ ટ્રીપમાં 3AC અને સ્લીપર કોચ ધરાવતી બે મહત્વપૂર્ણ ટ્રેનોમાં વધારો કર્યો છે, જે ઉત્તરપૂર્વમાં મુસાફરો માટે અવિરત ક્ષમતા સુનિશ્ચિત કરે છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 10:15 pm

ઇન્ડિગોની ફ્લાઈટ કેન્સલ થતાં અમદાવાદથી દિલ્હી જતાં મુસાફરોને ફાયદો થશે:પશ્ચિમ રેલવે સાબરમતીથી દિલ્હી વચ્ચે ઓન-ડિમાન્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવશે

અમદાવાદ–દિલ્હી કરિડોર પર ઇન્ડિગો એરલાઇન્સની અનેક ફ્લાઇટ્સ રદ્દ થવાથી મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. હવાઈ મુસાફરી રદ્દ થવાને કારણે મોટી સંખ્યામાં લોકો વિકલ્પિક મુસાફરીની શોધમાં હતા. આ વધતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ અમદાવાદના સાબરમતી સ્ટેશનથી દિલ્હી જંક્શન વચ્ચે ખાસ ઓન-ડિમાન્ડ (TOD) સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદથી દિલ્હી જતા મુસાફરોને ફાયદો થશેઆ સ્પેશિયલ ટ્રેન મુસાફરોને સમયસર મુસાફરી પૂરી પાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી ફ્લાઇટ કેન્સલેશન જેવી પરિસ્થિતિમાં લોકોની મુશ્કેલી ઓછી થાય. મુસાફરોની વાસ્તવિક માંગ અનુસાર આ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે, જે અમદાવાદ–દિલ્હી રૂટ પર મુસાફરી કરતા નાગરિકો માટે ખૂબ ફાયદાકારક થશે. જોકે. આ સ્પેશિયલ ટ્રેનની તારીખ અને સમય નક્કી કરતા જણાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 10:12 pm

બે દિવસમાં દારૂ સાથે કરોડોનો મુદ્દામાલ ઝડપાયો:LCBએ બે દિવસમાં પોણા કરોડથી વધુનો દારૂ પકડી પાડ્યો, ક્રાઇમ બ્રાન્ચે લાખોના મુદ્દામાલ સાથે ચાર આરોપીની કરી ધરપકડ

જુનાગઢ જિલ્લામાં દારૂ નિરાફેરીને ડામવા જુનાગઢ એલસીબી સક્રિય બની છે ત્યારે જુનાગઢ એલસીબીએ બે દિવસમાં પોણા કરોડના દારૂ સાથે કરોડો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂની બદીને ડામવા માટે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે શીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોરબંદર-માંગરોળ હાઇવે નજીક આવેલ GIDC વિસ્તારના ગણેશ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે દારુના જથ્થા સાથે 4 આરોપીઓને ઝડપ્યાદરોડા દરમિયા ગોડાઉનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 13,800 નંગ બોટલ અને બીઅરનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ₹ 29,61,840/- થવા જાય છે. પોલીસે આ દારૂના જથ્થા સાથે ચાર આરોપીઓ – હરેશ રામજીભાઈ પંડિત (ઉં.વ. 24), અતુલ કિર્તીભાઈ ચુડાસમા (ઉં.વ. 25), પંકજ અરજણભાઇ સેવરા (ઉં.વ. 18), અને જયપાલસિંહ જશુભા ચુડાસમા (ઉં.વ. 35) ને ઝડપી પાડ્યા હતા. ટ્રેક્ટર-ટ્રોલી મળીને કુલ ₹49,41,840/ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યોઆ આરોપીઓ દારૂનું કટિંગ કરી રહ્યા હતા. પોલીસે દારૂ ઉપરાંત ₹1,30,000/-ના 7 નંગ મોબાઇલ ફોન, ₹15,00,000/-ની 1 ફોર વ્હીલ ગાડી, ₹50,000/-નું 1 એક્ટિવા મોટરસાયકલ અને ₹3,00,000/-નું 1 ટ્રેક્ટર-ટ્રોલી મળીને કુલ ₹49,41,840/ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દારૂનો જથ્થો ચોરવાડના સચિન ભીખા ચુડાસમા, હેમાંગ ભદ્રેશ પાઠક અને વિશાલ બચુ ચુડાસમાએ જૂનાગઢના રવિ હમીર ભારાઈ મારફતે બહારના રાજ્યમાંથી મંગાવ્યો હોવાનું ખુલ્યું છે, જે તમામ ચાર આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે. આ સમગ્ર કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ એમ. પટેલ અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી​જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની આ સફળતા, જેણે એક જ ગોડાઉનમાંથી ₹29.61 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે, તેની સામે માંગરોળ વિસ્તારમાં પ્રોહીબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ કેટલી હદે વ્યાપેલી છે તે સવાલ ઊભો થયો છે. ખાસ કરીને, આ દરોડાના એક દિવસ પહેલા પણ એલસીબી દ્વારા આજ માંગરોળ નજીકથી એક ટ્રકની તપાસ કરતાં તેમાંથી વિવિધ બ્રાન્ડના ₹48,90,000/- લાખનો દારૂ અને ટ્રક મળીને ₹69 લાખથી વધુનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો. આમ જૂનાગઢ જિલ્લાના માંગરોળ જેવા એક જ તાલુકા વિસ્તારમાંથી માત્ર 48 કલાકના ગાળામાં ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી દ્વારા કુલ ₹78 લાખથી વધુની કિંમતનો પ્રોહી. મુદ્દામાલ પકડવામાં આવ્યો છે. આટલો મોટો દારૂનો જથ્થો સ્થાનિક શીલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આટલા મોટા પાયે કેવી રીતે સંગ્રહિત થઈ શક્યો, અને તેનું કટિંગ કેવી રીતે ચાલુ રહ્યું હતું આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ​ઝડપાયેલા ચાર આરોપીઓ ઉપરાંત પોલીસે દારૂ મંગાવવાના મુખ્ય સૂત્રધાર ગણાતા ચાર વોન્ટેડ આરોપીઓ – રવિ હમીરભાઈ ભારાઈ (જૂનાગઢ), હેમાંગ ભદ્રેશભાઈ પાઠક (ચોરવાડ), સચિન ભીખાભાઈ ચુડાસમા (ચોરવાડ), અને વિશાલ બચુભાઇ ચુડાસમા (ચોરવાડ) – ને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જૂનાગઢ રેન્જ પોલીસ વડાની સૂચના મુજબ, આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો પર કડક ઘોંસ બોલાવીને પ્રોહીબિશનની બદીને સંપૂર્ણપણે ડામી દેવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાયમી ધોરણે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.આ દરોડાની કાર્યવાહીમાં ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. કૃણાલ એમ. પટેલ, પી.એસ.આઈ. ડી.કે. સરવૈયા સહિત વિજયભાઈ બડવા, જગદીશભાઈ ગરચર, વનરાજસિંહ ચુડાસમા, જાદવભાઇ સુવા, પૃથ્વીરાજ વાળા, જેઠાભાઈ કોડીયાતર, અજયસિંહ ચુડાસમા, પૃથ્વીરાજસિંહ રાયજાદા અને બાબુભાઈ કોડીયાતર જેવા અધિકારીઓ અને કર્મચારીઓએ સફળ કામગીરી કરી છે. આ કાર્યવાહીથી પ્રોહીબિશનની પ્રવૃત્તિમાં સંકળાયેલા અન્ય બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 10:08 pm

ઇન્ડસ યુનિવર્સિટીનો 10મો દીક્ષાંત સમારોહ યોજાયો:1248 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઇ, 18 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 6 વિદ્યાર્થીઓને મેમોરિયલ એવોર્ડ્સનું વિતરણ કરાયું

ઇન્ડસ યુનિવર્સિટીનો 10મો દીક્ષાંત સમારોહ રાંચરડા કેમ્પસ ખાતે યોજવામાં આવ્યો હતો. આજના આ દીક્ષાંત સમારોહમાં અલગ-અલગ કોર્સના કુલ 1248 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાં 327 વિદ્યાર્થીઓને પી.જી તથા 8 વિદ્યાર્થીઓને પીએચ.ડીની ડીગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સાથે સાથે વિવિધ કોર્ષોના 18 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા 6 વિદ્યાર્થીઓને મેમોરીયલ એવોર્ડસનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે અદાણી ગ્રુપના વાઈસ પ્રેસિડેન્ટ (ડિજિટલ એન્ડ સ્ટ્રેટેજી) બી. એસ. રાવ ઉપસ્થિત રહ્યાં હતા. જ્યારે ગેસ્ટ ઓફ ઓનર તરીકે સૂચિ ઇન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર અને ચેરમેન અશોક મહેતાએ હાજરી આપી. આ નવી ટેક્નોલોજી ખૂબ જ મદદગાર બની રહેશેઆગામી 6 તારીખે ઇન્ડસ એડવાન્સ ગ્રીન નેનોટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી અને પદ્મભૂષણ તથા પ્રખ્યાત હ્રદય રોગ નિષ્ણાત ડૉ. તેજસ પટેલ અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે ડૉ. કે. એસ. નાગેશ હાજર રહેવાના છે. કદંબા સોસાયટીના ચેરમેન ડૉ. અનંતકુમાર હેગડે અને યુનિવર્સિટી ઓફ મિસૂરીના નેનોવિજ્ઞાન વિશેષજ્ઞ તથા કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉ.કટ્ટેશ વી. કટ્ટી સહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે. યુનિવર્સિટી મુજબ ગ્રીન નેનોટેક્નોલોજી સંશોધનને નવી દિશા આપશે અને કેન્સર ઉપરાંત અનેક રોગના ઉપચાર માટે આ નવી ટેક્નોલોજી ખૂબ જ મદદગાર બની રહેશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 9:46 pm

ગીર સોમનાથ કલેક્ટરની રાત્રીસભામાં ગ્રામજનોનો લોકસંપર્ક:બરડામાં ફૂટપાથ માટે ₹1 લાખ મંજૂર, વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરાયું

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના બરડા ગામે કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં કલેક્ટરે ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી ગામની સમસ્યાઓ સાંભળી અને સંબંધિત વિભાગોને તાત્કાલિક કાર્યવાહી માટે માર્ગદર્શન આપ્યું હતું. સભા દરમિયાન, ગ્રામજનોએ ફૂટપાથના નિર્માણ અંગે રજૂઆત કરી હતી. કલેક્ટરે તાત્કાલિક ધોરણે રૂ. 1 લાખની મંજૂરી આપતા ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ હતી અને તેમના નિર્ણયને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યો હતો. ગ્રામજનો દ્વારા ગામતળ-સીમ તળના પ્રશ્નો, ગામતળના પ્લોટ માપણી, બરડા બંધારાના સમારકામ, નદીનું પાણી અટકાવવા સુરક્ષા દિવાલ અને રેશનકાર્ડ સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટરે આ તમામ પ્રશ્નોના ઝડપી નિવારણ માટે સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. કલેક્ટરે આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોની સ્થિતિ અને કુપોષિત બાળકોના આરોગ્ય તથા પોષણ અંગે વિગતવાર જાણકારી મેળવી હતી. તેમણે મતદાર સુધારણા કાર્યક્રમ અને પાક નુકસાન સહાય માટે ફોર્મ ભરાવવાની પ્રક્રિયા અંગે પણ પૂછપરછ કરી હતી. આ ઉપરાંત, કલેક્ટરે આયુષ્માન ભારત યોજનાની વિગતો ગ્રામજનોને આપી હતી. તેમણે આરોગ્ય વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી કે કોઈ પણ ગ્રામજન આયુષ્માન કાર્ડ વગર રહી ન જાય તે સુનિશ્ચિત કરવામાં આવે. આ રાત્રીસભામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી કે.આર. પરમાર, કોડીનાર મામલતદાર એસ.કે. ભાસ્કર તેમજ ખેતીવાડી, આરોગ્ય, માર્ગ અને મકાન (પંચાયત), સિંચાઈ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 9:42 pm

વિઝા બનાવી આપવાના નામે ઠગાઈ:વડોદરામાં યુવકને વિદેશના વિઝા બનાવી આપવાનું કહી એજન્ટે રૂપિયા 26.50 લાખ પડાવ્યા, એજન્ટે આપેલા જોબ માટેના કોલ લેટર પર બોગસ નીકળ્યા

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર હરિયાળી હોટલ પાસે રહેતા યુવકને વિદેશના વિઝા બનાવી આપવાનું કહીને એજન્ટ રૂપિયા 26.50 લાખ ટુકડે ટુકડે રોકડા પડાવી લીધા હતા. એજન્ટે આપેલા જોબ માટેના કોલ લેટર પર બોગસ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી યુવકે રૂપિયા પરત માગતા ઠગે ચાર ચેક લખી આપ્યાં હતા જે બેન્કમાં ડિપોઝીટ કરાવતા રિટર્ન થયાં હતા. જેથી યુવકે ઠગ એજન્ટ વિરુદ્ધ છેતરપિંડની ફરિયાદ નોધાવી છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી હરિયાળી હોટલ પાસે સોમેશ્વર સોસાયટીમાં રહેતા વૃષાંગ રમેશ રાજે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, હુ ગેંડા સર્કલ પાસે આવેલી પેટન્સ હાયરીંગ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરુ છુ. વર્ષ 2024માં મારે વિદેશ જવું હતું અને અમારી બાજુમાં રહેતા મેરીક પ્રકાશ દરજી લંડન ખાતે રહેતા હોય ઘરે આવ્યો હતો. જેથી મેરીકભાઈને વાત કરતા તેમની સાથે લંડન ખાતે રહેતા રોનકભાઈ પટેલ સાથે વાત કરતા રોનકભાઈએ તેમના મિત્ર વૈભવ દિનેશકુમાર પટેલને મળવાનુ જણાવ્યું હતુ. 2 મેના રોજ હું અને નંદાબેન માધવભાઈ પરમાર, મેરીકભાઇ, મારા ફુવા મહેન્દ્રકુમાર છગનલાલ વિદ્યાર્થી તેમજ ફોઇ ભારતીબેન વિદ્યાર્થી વૈભવ દિનેશભાઇ પટેલની માંજલપુર સ્પોર્ટ કોમ્પલેક્ષ પાસે આવેલ વિઝા કન્સ્ટન્સીની ઓફીસે મળવા ગયા હતા. વૈભવ પટેલ એકલા જ ઓફીસમાં હાજર હોય તેમની સાથે મારે યુકેના વિઝા માટે મિટીંગ થતા તેણે પાંચ વર્ષના વિઝા કરી આપવા માટે તમારે 35 લાખ રૂપિયા આપવાના થશે. જેમાં ત્યાના તમામ ચાર્જ તથા એર ટીકીટ તથા શરૂઆતના એક માસ રહેવાનુ બધુ જ તેમાં આવી જશે. તમારુ વિઝાનુ કામ 90 દિવસમાં થઈ જશે તેમ જણાવી તમારે કોલ લેટર બુક કરવા હાલ તાત્કાલીક રૂપિયા 4 લાખ આપો નહી તો કોલ લેટર નહી થાય તમારે વિઝા માટેના બધા રૂપિયા મને રોકડમાં જ આપવાના રહશે તેમ જણાવતા અમે રૂ. 1 લાખ રોકડા આપ્યાં હતા. વૈભવ પટેલના ઘરે 4 લાખ રૂપિયા પુરા આપવા પડશે નહી તો તમારો કોલ લેટર જતો રહશે, તેમ જણાવતા વૈભવ દિનેશભાઈ પટેલને વર્ક વિઝા માટે ટુકડે ટુકડે કુલ રૂ.26.50 લાખ રોકડમાં લીધી હતા. પરંતુ રૂપિયા આજદીન સુધી પરત આપ્યાં નથી કે વિઝાનું કામ પણ નહી કરીને ખોટા વાયદાઓ કરતો હતો. જેથી તેની પાસે રૂપિયાની માગણી કરતા વૈભવ દિનેશ પટેલે મને ખોટા બનાવટી કો લેટર, એજેન્સીના નામના ચાર ચેક રૂ,26.50 લાખના આપ્યાં હતા. જે ચેક બન્કમાં ડિપોઝિટ કરાવતા રિટર્ન થયા હતા. જેથી માંજલપુર પોલીસે ઠગ વૈભવ પટેલ સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 9:36 pm

સાપુતારા ઘાટમાં ST બસના બ્રેક ફેઈલ, મોટી જાનહાનિ ટળી:ડ્રાઈવરે બસને ઝાડ સાથે અથડાવી 35 મુસાફરોનો જીવ બચાવ્યો, 3 બાઈક અડફેટે ચડતાં 2 ઘાયલ અને એકનું મોત

નાશિકથી પાટણ જતી ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (ST)ની બસના બ્રેક અચાનક ફેઈલ થતાં સાપુતારા ઘાટ માર્ગ પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ બસે ઘાટમાં ત્રણ મોટરસાઇકલને અડફેટે લેતાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે ઘાયલ થયા છે. જોકે, ડ્રાઇવરની સમયસૂચકતા અને માર્ગ પરના એક વૃક્ષને કારણે બસમાં સવાર તમામ 35 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી. ઘાટ પરથી બસ ખીણમાં ખાબકવાની શક્યતા હતી. દરમિયાન ડ્રાઈવરે ઝાડ સાથે બસ અથડાવવાનો નિર્ણય લીધો હતો અને બસમાં સવાર 35 મુસાફરોનો જીવ બચાવ્યો હતો. બાઈકસવારનું સારવાર દરમિયાન મોતપ્રાપ્ત માહિતી અનુસાર, બસના બ્રેક ફેઈલ થતાં ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ ઝડપભેર નીચે ઘાટ તરફ ધસી રહી હતી. આ દરમિયાન બસે ત્રણ મોટરસાઇકલને ટક્કર મારી હતી, જેમાં મોટરસાઇકલ પર સવાર ધનુરાસ રામદાસ હડસ (ઉં.વ. 30)નું સામગહાન સરકારી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન દુર્ભાગ્યે મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ઘાયલ અન્ય એક યુવકની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. ત્રીજા યુવકને સામાન્ય ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. વૃક્ષ સાથે અથડાતા બસ અટકી મુસાફરોએ આપેલી વિગતો મુજબ, બ્રેક ફેઈલ થયા બાદ બસ અત્યંત ઝડપથી આગળ ધસી રહી હતી અને ખીણમાં પટકાઈ જવાની કે ઊંધી વળી જવાની ગંભીર આશંકા હતી. જોકે, બસ ચાલકની સમયસૂચકતાને કારણે બસ માર્ગ પર આવેલા એક વિશાળ વૃક્ષ સાથે અથડાઈને અટકી ગઈ હતી. આ અથડામણને કારણે બસની ગતિ અટકી જતાં તેમાં સવાર ૩૫ મુસાફરોના જીવ બચી ગયા હતા. મુસાફરે ડ્રાઈવરનો આભારજો બસ વૃક્ષ સાથે ન અથડાઈ હોત તો મોટો અનર્થ સર્જાઈ શક્યો હોત. ડ્રાઇવરના તાત્કાલિક અને યોગ્ય નિર્ણયથી આજે અમારો જીવ બચી ગયો છે એમ એક મુસાફરે જણાવ્યું હતું. તપાસનો ધમધમાટ શરૂ, લોકોમાં રોષઘટનાની જાણ થતાં જ પોલીસ, ટ્રાફિક વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે અકસ્માત સ્થળનું નિરીક્ષણ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ST બસના બ્રેક કયા કારણોસર ફેઈલ થયા તેની ટેક્નિકલ તપાસ પણ શરૂ કરવામાં આવી છે. સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે રોષ આ ગંભીર અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમણે ST ડેપોની બેદરકારી, વાહનોની નિયમિત સુરક્ષા ચકાસણીનો અભાવ અને સાપુતારા ઘાટ માર્ગની જોખમી પરિસ્થિતિ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 9:28 pm

કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટ: ભૂગર્ભ જળ સિંચાઈનો સૌથી મોટો પ્રોજેક્ટ.:સુમન હાઈસ્કૂલોમાં શિક્ષણની ગુણવત્તા જાળવવા 48 શિક્ષકોની આઉટસોર્સિંગથી ભરતી, લાલવાવટા યુનિયને છત્રી-ટેબલ નાંખી બેસવા માંગી મંજૂરી

સુરત મહાનગરપાલિકા શાસન માટે વર્તમાન સપ્તાહ નિર્ણાયક સાબિત થયો છે, જેમાં એક તરફ શહેરના જળ સંકટને કાયમી ઉકેલ આપતા મહાત્વાકાંક્ષી કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટને સ્થાયી સમિતિ તરફથી ગ્રીન સિગ્નલ મળ્યો છે તો બીજી તરફ શૈક્ષણિક ગુણવત્તા જાળવવા માટે સુમન હાઈસ્કૂલોમાં શિક્ષકોની આઉટસોર્સિંગથી ભરતીને મંજૂરી અપાઈ છે. જોકે, આ વિકાસની ગતિ વચ્ચે પાલિકાની કચેરીમાંથી યુનિયન ઓફિસો ખાલી કરાવવાનો વિવાદ ગરમાયો છે, જે હવે ગુજરાત હાઈકોર્ટના દ્વાર સુધી પહોંચ્યો છે. ભૂગર્ભ જળ સિંચાઈનો દેશનો સૌથી મોટો પ્રોજેક્ટરૂંઢ અને ભાઠાને જોડતા SMCના મહત્ત્વાકાંક્ષી કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટની કામગીરી આખરે સાડા ત્રણ વર્ષના વિલંબ બાદ શરૂ થવા જઈ રહી છે. શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં બેરેજ નિર્માણ માટે મહત્ત્વના પાળા સાકાર કરવાના ઉદ્દેશથી ડબલ વોલશીટ પાઇલ કોફર ડેમ બનાવવા માટેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ કોફર ડેમની ડિઝાઇન સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા તૈયાર કરાઈ હતી અને સેન્ટ્રલ વોટર કમિશન વારા મંજૂર કરાઈ છે. 10 કિમીની લંબાઇમાં રચાનારું આ સરોવર અને તેના પર આધારિત પ્રોજેક્ટ દેશમાં ભૂગર્ભ જળ સિંચાઈનો સૌથી મોટો પ્રોજેક્ટ બની રહેશે. જળ સુરક્ષા અને સિંચાઈનો લાભબેરેજ પ્રોજેક્ટ દ્વારા અનેકવિધ હેતુઓ સિદ્ધ થશે: પ્રોજેક્ટની ડિઝાઇન 100 વર્ષના ડેટાના આધારે તૈયાર કરવામાં આવીસ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે, ખરીફ તથા રવિ મોસમમાં ડાંગર, જુવાર, બાજરી, અને શાકભાજી જેવા પાકોની સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે. આ પ્રોજેક્ટની ડિઝાઇન 100 વર્ષના ડેટાના આધારે તૈયાર કરવામાં આવી છે, જે તેની દીર્ઘાયુષ્ય અને સુરક્ષાની ખાતરી આપે છે. ઉપરાંત, સરોવરના સંગ્રહિત જળનો ઉપયોગ વોટર સ્પોર્ટ્સ, પ્લેન હોટેલ અને ક્રૂઝ જેવી મનોરંજન અને પ્રવાસન સુવિધાઓ માટે પણ કરવામાં આવશે. સુમન હાઈસ્કૂલમાં શિક્ષણની ગુણવત્તા જાળવવા 48 શિક્ષકોની આઉટસોર્સિંગથી ભરતીએક તરફ માળખાગત સુવિધાઓ પર SMC ધ્યાન આપી રહ્યું છે, ત્યારે શૈક્ષણિક મોરચે પણ ઝડપી નિર્ણયો લેવાયા છે. શહેરની વિવિધ સુમન હાઈસ્કૂલોમાં માધ્યમિક વિભાગમાં 48 શિક્ષકોની ભારે ઘટનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે. શૈક્ષણિક સત્ર 2025–26નું દ્વિતીય સત્ર 6 નવેમ્બરથી શરૂ થઈ ચૂક્યું હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસને નુકસાન ન થાય તે હેતુથી પાલિકાએ તાત્કાલિક આ જગ્યાઓ ભરવાનો નિર્ણય લીધો છે. અગાઉ બે વખત જાહેરાત કરવા છતાં, પ્રથમ જાહેરાતમાં માત્ર 31 અને બીજી જાહેરાતમાં માત્ર 5 ઉમેદવારો જ હાજર થયા હતા, જેના કારણે 48 જગ્યાઓ ખાલી રહી ગઈ હતી. આ તાત્કાલિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, સ્થાયી સમિતિએ આઉટસોર્સિંગ દ્વારા શિક્ષકોની ભરતી કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. કર્મચારી એજન્સી: ઈજારદાર આકાર એચઆર મેનેજમેન્ટ એલએપી.માસિક ખર્ચ: ઈજારદાર દ્વારા એક શિક્ષકનો માસિક ખર્ચ 21,296 નક્કી કરવામાં આવ્યો છે.કુલ ખર્ચ: 48 શિક્ષકો માટે પાલિકાને દર મહિને લગભગ 10,22,208નો ખર્ચ થશે. આ વ્યવસ્થા નવી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થાય અથવા શૈક્ષણિક વર્ષ પૂરું થાય ત્યાં સુધી અમલમાં રહેશે, જેથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ અવરોધ ન આવે. યુનિયન ઓફિસોનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યોસુરત મહાનગર પાલિકાના મુખ્ય કચેરી પરિસરમાં તાજેતરમાં યુનિયન ઓફિસો ખાલી કરાવવાના મામલે ગરમાવો આવ્યો છે. પાલિકાએ અગાઉ નોટિસ આપી હતી કે જો યુનિયનો પાસે ઓફિસ ફાળવણીના કોઈ રેકોર્ડ હોય તો રજૂ કરે, અન્યથા સાત દિવસમાં કબજો પરત કરે. પાલિકાના મતે કોઈ પણ યુનિયનને ક્યારેય સત્તાવાર રીતે ઓફિસ ફાળવવામાં આવી ન હતી. નોટિસ પીરિયડ પૂરો થતાં જ, રાતોરાત 11 યુનિયનોની ઓફિસોના તાળા તોડી કબજો લઈ લેવામાં આવ્યો હતો. હાઈકોર્ટમાં જુદી-જુદી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવીઆ કાર્યવાહીથી યુનિયનોમાં ફફડાટ અને રોષ જોવા મળ્યો છે. એક તરફ યુનિયનોનો દાવો છે કે, મધ્યરાત્રે ગેરકાયદેસર રીતે તાળા તોડીને તેમના ટેબલ, ખુરશી, કબાટ, અગત્યના દસ્તાવેજો, કોર્ટ ફાઇલ અને રોકડ રકમ સહિતનો તમામ સામાન કચેરીના પ્રાંગણમાં મૂકી દેવાયો હતો, જેના પગલે લાલગેટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.યુનિયનોને ન્યાય મળે તે હેતુથી હાઈકોર્ટમાં જુદી-જુદી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવી છે. આ કેસની સુનાવણી આગામી સોમવાર, 8 ડિસેમ્બર 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં થવાની છે. યુનિયનો અને તંત્ર વચ્ચેનો સંઘર્ષ હવે કાનૂની લડાઈના સ્તરે પહોંચી આ વિવાદ વચ્ચે એક યુનિયન (લાલવાવટા યુનિયન) દ્વારા તેમની ઓફિસ લઇ લેવાતાં પાલિકાના કેમ્પસમાં જ છત્રી અને ટેબલ નાંખીને યુનિયનને બેસવા દેવાની લેખિત મંજૂરી માંગવામાં આવી છે. યુનિયને કોર્ટ અને બહુમાળીઓમાં વકીલો જે રીતે બેસતા હોય છે તેનું ઉદાહરણ આપ્યું છે. જોકે, પાલિકાના નિયમો અનુસાર આવી રીતે મંજૂરી આપી શકાય નહીં, તેથી આ માંગણી મંજૂર થઈ નથી. સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરીમાં થયેલી આ કાર્યવાહી બાદ યુનિયનો અને તંત્ર વચ્ચેનો સંઘર્ષ હવે કાનૂની લડાઈના સ્તરે પહોંચી ગયો છે, જેનું પરિણામ 8મી ડિસેમ્બરે હાઈકોર્ટની સુનાવણી બાદ સ્પષ્ટ થશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 9:27 pm

રાજકોટ સમાચાર:કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રાજકોટમાં, ડૉ. પી. એચ. ટાંકે પશુચિકિત્સા સહિતનાં સંશોધનો અંગે જાણકારી આપી

કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. પી. એચ. ટાંકની મુલાકાતને ધ્યાનમાં રાખીને રાજકોટ ખાતે બેંકર્સ રિક્રિએશન ક્લબ ખાતે એક વૈચારિક ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટી સંબંધિત માહિતી, પશુચિકિત્સા ક્ષેત્રના વિકાસ અને સંશોધનને નવી દિશા આપવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પોતાના સંબોધનમાં ડૉ. ટાંકે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની ગીર ગાયોના ગર્ભાશયના રોગ પર કરુણા ફાઉન્ડેશન, ભાણવડ મહાજન પાંજરાપોળ તથા અન્ય ગૌશાળા-પાંજરાપોળના સહકારથી લગભગ 100 કેસોનો અભ્યાસ કરીને સંશોધન કરવામાં આવ્યું છે. આ સંશોધનમાં કોઈ પણ ચીરો મૂક્યા વગર મૂત્રાશયના ભાગમાંથી ગર્ભાશયને સેટ કરીને તેની નકામી વસ્તુઓ કાઢવાના ઓપરેશનની પદ્ધતિ વિકસાવવામાં આવી છે. ડૉ. ટાંકના માર્ગદર્શન હેઠળ કાઠિયાવાડી અશ્વ, ગીર ગાયો અને જાફરાબાદી ભેંસો સહિત 21 જેટલા વિવિધ પશુઓ પર સંશોધન કાર્ય થયું છે, જેમાં તેમના પ્રદેશની ભૌગોલિક લાક્ષણિકતાઓ પ્રમાણે સારવાર, દવાઓ અને ઓપરેશન પ્રક્રિયાઓ વિકસાવવામાં આવી છે. ડૉ. ટાંકે અત્યાર સુધીમાં 2 PHD અને 21 એમ.વી.એસસી. વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કર્યું છે. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ, મેયર અને ધારાસભ્ય સહિતનાં હાજર રહ્યા હતા. રાજકોટમાં દુબઈની ચોકલેટમાંથી ઈયળ નીકળતા આરોગ્ય વિભાગ હરકતમાં રાજકોટમાં દુબઈથી મંગાવેલી બકલાવા ચોકલેટમાં ઈયળ નીકળવાની ગંભીર ઘટના સામે આવી હતી. આ કારણે એક જાગૃત નાગરિકે આ અંગેનો વિડીયો વાયરલ કર્યો હતો. જેને લઈને રાજકોટ મહાપાલિકાનું આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે અને તાત્કાલિક તપાસ શરૂ કરી છે. આ મામલે આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે, ચોકલેટ વેચનારાઓ દ્વારા FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા)ના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે ચોકલેટ પર માત્ર રેપર લગાવવામાં આવ્યું છે, જેમાં ઉત્પાદક દ્વારા કોઈપણ પ્રકારનું વર્ણન-વિગતો આપવામાં આવી નથી. જયેશ વાકાણીએ જણાવ્યું કે, આ ચોકલેટ જે પણ પાન પાર્લર અને ચોકલેટ પાર્લરમાં વેચાઈ રહી છે, ત્યાં સઘન ચેકિંગ કરવામાં આવશે અને ચોકલેટ વિક્રેતાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ પ્રકારની બિનઆરોગ્યપ્રદ ચોકલેટ ખાવાથી લોકોને પેટ, આંતરડાની બીમારીઓ અને ઝાડા- ઉલટી જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. જૂની પેન્શન યોજનાનો લાભ, રાજકોટ શિક્ષણ સમિતિના 285 શિક્ષકો-આચાર્યોને GPFમાં સમાવેશ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સરકારના પરિપત્ર મુજબ જૂની પેન્શન યોજના (GPF)નો લાભ 2004 પહેલા નોકરીમાં જોડાયેલા કર્મચારીને આપવાની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી છે. શાસનાધિકારી કિરીટસિંહ પરમાર રજા પરથી પરત ફર્યા બાદ તરત જ તેમણે આ મહત્વપૂર્ણ નિર્ણય પર કામગીરી શરૂ કરી હતી. શાસનાધિકારી કિરીટસિંહ પરમારના પ્રયત્નોના ભાગરૂપે શિક્ષણ સમિતિના અંદાજે 270 જેટલા શિક્ષકોને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) માંથી જૂની પેન્શન યોજના GPF માં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત, HTAT સેવા સળંગના 15 જેટલા આચાર્યની સળંગ નોકરીની ગણતરી કરીને તેમને પણ GPF નો લાભ આપવામાં આવ્યો છે, જેનાથી લાભાર્થીઓની કુલ સંખ્યા 285 થઈ છે. હાલ શાસનાધિકારી કિરીટસિંહ પરમારના કાર્યકાળ દરમિયાન કર્મચારીઓના સેવાકીય નિર્ણયોની ત્વરિત અમલવારી કરવાથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોસ્મોપ્લેકસથી નવા રીંગ રોડ સુધી રૂ. 2.86 કરોડના ખર્ચે 60 ફુટનો નવો રોડ બનશે રાજકોટમાં નવા ભળેલા મુંજકા ગામના વોર્ડ નં.9માં કોસ્મોપ્લેસ સિનેમા પાસેથી નવા 150 રીંગ રોડને જોડતા 18 મીટરના ટીપી રોડ ડેવલપ કરવાના કામ માટે 2.86 કરોડના ટેન્ડર આજે બહાર પાડવામાં આવ્યા છે. કટારીયા ચોકડીએ બ્રીજના કામ માટે આજુ બાજુના રસ્તે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. ચોકથી જમણી તરફ લક્ષ્મીના ઢોરા બાજુમાંથી વોંકળાનો રસ્તો પસાર થાય છે. આ રસ્તો સીધો કોસ્મોપ્લેકસ સિનેમાને ટચ થાય છે. ટીપીનો આ વિશાળ રોડ નવો બનાવવા ટેન્ડર પ્રસિધ્ધ કરાયા છે. આમ કટારીયા ચોકડીએ બ્રીજના કામ સાથે બાજુમાં જ નવો ટીપીનો 60 ફુટનો રોડ પર ડેવલપ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ માટે અંદાજીત રૂ. 2.86 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. આ રોડ નવો બનવાથી હજારો વાહન ચાલકોને તેનો લાભ મળશે. રખડતા શ્વાનોના ત્રાસને દૂર કરવા મહાપાલિકાનો મોટો નિર્ણય, 10 એનિમલ કીપરની ભરતી કરાશે સમગ્ર દેશમાં રખડતા શ્વાનોના ત્રાસની સમસ્યા મુખ્ય મુદ્દો બની છે, જેને પગલે સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારને પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે. આ સૂચનાના અનુસંધાનમાં અને આગામી સમયમાં શ્વાન નિયંત્રણની કામગીરી વધુ ઝડપી બનાવવાના હેતુથી રાજકોટ મહાનગરપાલિકાએ 10 એનિમલ કીપર ની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. રખડતા કુતરાઓના ત્રાસને નિયંત્રિત કરવા મનપાએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શાળાઓ, કોલેજો અને હોસ્પિટલો સહિતના એકમોને જવાબદારી સોંપી છે. આ કામગીરીને વધુ વેગ આપવા માટે ANCD (એનિમલ બર્થ કંટ્રોલ) વિભાગમાં આ 10 જગ્યાઓ ભરવામાં આવશે, જેનાથી શ્વાન વ્યંધીકરણ સહિતની કાર્યવાહી વધુ ઝડપી - અસરકારક બનવાની આશા છે. કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલી 10 જગ્યાઓ માં 4 બિનઅનામત, 1 અનુસૂચિત જાતિ, 2 અનુસૂચિત જનજાતિ અને 3 અન્ય અનામત કેટેગરીની રહેશે. આ ભરતી ટૂંક સમયમાં યોગ્ય લાયકાત, પગાર ધોરણ અને વય મર્યાદાના આધારે હાથ ધરાશે, જેમાં અરજી બાદ ઇન્ટરવ્યુની પ્રક્રિયા કરવામાં આવશે. આ મામલે સુપ્રીમ કોર્ટે જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ, મનપાને 39 હોસ્પિટલો તેમજ શૈક્ષણિક સંસ્થાઓને તેમના પરિસરમાં શ્વાન પ્રવેશ ન કરે તે માટે તાત્કાલિક ધોરણે ફેન્સિંગ અને બાઉન્ડ્રી વોલની વ્યવસ્થા કરવા અને આ માટે નોડલ ઓફિસર્સ મૂકવા આદેશ કરાયો છે. રાજકોટમાં ખાલી પ્લોટ પર સ્પોર્ટ્સ ફેસિલિટી, 16.09 લાખના ખર્ચે વોલીબોલ કોર્ટ બનશે રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના બિનઉપયોગી નાના પ્લોટ પર જે તે વિસ્તારના રહેવાસીઓ માટે સ્પોર્ટ્સ ફેસિલિટી વિકસાવવાનો વિચાર આગળ વધારવામાં આવ્યો છે. માળખાકીય સુવિધાઓની સાથે રમતગમત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે કમિશનર તુષાર સુમેરાની સૂચનાથી ત્રણેય ઝોનના ઇજનેરો દ્વારા આવા પ્લોટ્સની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે, વેસ્ટ ઝોન બાંધકામ શાખા દ્વારા વોર્ડ નંબર 10 માં નાના મવા રોડ પર આવેલ નિધિ કર્મચારી સોસાયટી સામેના પ્લોટમાં નવો વોલીબોલ કોર્ટ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેનો અંદાજિત ખર્ચ રૂ. 16.09 લાખ થશે, જેના માટે ટેન્ડર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. નવા ભળેલા વિસ્તારો સહિત ન્યુ રાજકોટમાં આવા 10 થી 12 પ્લોટની યાદી બનાવવામાં આવી છે. સેન્ટ્રલ અને ઇસ્ટ ઝોનમાં પણ વોલીબોલ અને બેડમિન્ટન જેવી ઓછી જગ્યામાં રમી શકાય તેવી રમતોની સુવિધાઓ વિકસાવવામાં આવશે. જેનાથી ઓછા ખર્ચે સ્પોર્ટ્સ અને ફિટનેસનો હેતુ સિદ્ધ થશે અને બાળકો તેમજ યુવાનો મોબાઈલથી દૂર થઈને રિયલ ગેમ્સ રમવા માટે પ્રેરાશે. મોટા મવા અને ઘંટેશ્વર ટીપી સ્કીમના જમીનધારકો સાથે મનપાની બેઠક રાજકોટ મહાપાલિકા દ્વારા આજે મોટા મવા અને ઘંટેશ્વર ટીપી સ્કીમના અમલીકરણ માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું હતું. કમિશ્નરની હાજરીમાં જમીનધારકો અને ખાતેદારો સાથે હિયરીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પાંચ વર્ષ પહેલાં રૂડા વિસ્તારમાંથી મહાપાલિકામાં ભળી ગયેલા મોટા મવા, ઘંટેશ્વર સહિતના આ નવા વિસ્તારો માટે અનુક્રમે ટીપી સ્કીમ 44 (મોટા મવા) અને ટીપી સ્કીમ 46 (ઘંટેશ્વર) બનાવવામાં આવી છે. આજે યોજાયેલી બેઠકમાં બંને ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં અસર પામતા અનેક જમીનદારોએ હાજરી આપી હતી. હિયરીંગમાં જાણવા મળ્યું કે, ઘંટેશ્વર ટીપી સ્કીમમાં જમીનદારો તરફથી વધુ સૂચનો અને વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે, જ્યારે મોટા મવાની સ્કીમમાં વાંધાઓની સંખ્યા ઓછી છે. મહાપાલિકા તંત્ર દ્વારા હવે આસામીઓને તેમના વાંધા અને સૂચનો લેખિતમાં રજૂ કરવા માટે 30 દિવસની મુદત આપવામાં આવી છે. આ 1 મહિનાની મુદત પૂર્ણ થયા બાદ, રજૂ થયેલા વાંધા-સૂચનો પર નવું હિયરીંગ હાથ ધરાશે અને તેના નિકાલ બાદ જ ટીપી સ્કીમ અંતિમ મંજૂરીની પ્રક્રિયા માટે રાજ્ય સરકારના હવાલે કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 9:26 pm

કરોડોના પ્રોજેક્ટ્સમાં PMC/TPI એજન્સીઓ પર ગેરરીતિના આક્ષેપો:RTI એક્ટિવિસ્ટે પ્રાદેશિક કચેરીઓમાં ફરિયાદ નોંધાવી, ભાવનગર ઝોન દ્વારા 28 નગરપાલિકાને તકેદારીના આદેશ

ગુજરાત રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં કરોડો રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સના સંચાલન અને ગુણવત્તા નિરીક્ષણ માટે નિમાયેલી પીએમસી (Project Management Consultant) અને ટીપીઆઈ (Third Party Inspection) એજન્સીઓ દ્વારા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. જૂનાગઢના RTI એક્ટિવિસ્ટ નિલેશ ગરાણીયાએ આ અંગે રાજ્યની તમામ પ્રાદેશિક કચેરીઓમાં વિગતવાર ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદમાં ગુજરાત સરકારને કરોડો રૂપિયાનું નાણાકીય નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો અને નગરપાલિકાના અધિકારીઓ સાથે એજન્સીઓ મિલીભગત કરીને અંગત આર્થિક લાભ મેળવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ગંભીર ફરિયાદના પગલે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે અને પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ, ભાવનગર ઝોન હેઠળ આવતી 28 જેટલી નગરપાલિકાઓમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ પર તકેદારી રાખવાના સ્પષ્ટ આદેશો જારી કરવામાં આવ્યા છે. PMC/TPIની કામગીરી સામે RTI એક્ટિવિસ્ટના આક્ષેપોએજન્સીઓની નિમણૂક મોટી રકમના વિકાસના કામોમાં યોગ્ય પદ્ધતિ અને નિયમો અનુસાર કામ થાય, ગુણવત્તા જળવાય અને પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે. PMC પ્રોજેક્ટનું આયોજન, દેખરેખ અને વ્યવસ્થાપન કરે છે, જ્યારે TPI કોન્ટ્રાક્ટરના કામની ગુણવત્તા અને માપણીનું સ્વતંત્ર રીતે નિરીક્ષણ કરે છે. આ એજન્સીઓની નિમણૂક નગરપાલિકાઓ દ્વારા અથવા મોટા પ્રોજેક્ટ્સ માટે સરકાર કક્ષાએથી થતી હોય છે. એન્જિનિયરો અને સાઇટ સુપરવાઈઝરની વિગતોમાં વ્યાપક ગેરરીતિફરિયાદી નિલેશ ગરાણીયાએ આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલી પીએમસી અને ટીપીઆઈને અપાયેલા વર્ક ઓર્ડરની નકલોના આધારે ગંભીર આક્ષેપો કર્યા છે. કે એન્જિનિયરો તેમજ સાઇટ સુપરવાઈઝરની વિગતોમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિઓ આચરવામાં આવી છે. તેમના આક્ષેપ મુજબ આ એજન્સી ભ્રષ્ટ અને બેદરકાર અધિકારીઓની સાથે મળીને સરકારી નીતિ-નિયમો તોડીને નાણાકીય નુકસાન પહોંચાડી રહી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે, જે એજન્સીઓને નિમણૂક મળે છે તેના બદલે અન્ય એજન્સીઓ ઊંચા ભાવે કામ કરે છે. ભાવનગર ઝોન દ્વારા તકેદારીના આદેશો જારીનિલેશ ગરાણીયાની ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈને પ્રાદેશિક કમિશનર નગરપાલિકા કચેરી ભાવનગરના અધિક કલેક્ટર ડી.એન. સતાણીએ તાત્કાલિક પગલાં લીધા છે. ડી.એન. સતાણીએ જણાવ્યું હતું કે, ઝોનના ઉચ્ચ અધિકારી દ્વારા તેમની હેઠળ આવતી ચાર જિલ્લાની 28 નગરપાલિકાઓના તમામ ચીફ ઓફિસરોને સ્પષ્ટપણે 'ધ્યાન રાખવા અને તકેદારી' રાખવાની જનરલ સૂચનાઓ જારી કરવામાં આવી છે. આ સૂચનાનો મુખ્ય હેતુ ભવિષ્યમાં સરકારને કોઈ નાણાકીય નુકસાન ન થાય તે માટે અગમચેતી રાખવાનો છે. આ સમગ્ર મામલે ભાવનગર પ્રાદેશિક કચેરી ખાતેથી જૂનાગઢ જિલ્લાની પણ તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસરને તપાસના આદેશ કરાયા છે. ગેરરિતી સામે આવશે તો કડક પગલાં લેવાશે: અધિક કલેક્ટર​ડી.એન. સતાણીએ વધુમાં જણાવ્યું કે, જો કોઈ અરજદારને TPI કે PMCની કામગીરી સંબંધિત કોઈ ચોક્કસ તકલીફ હોય, તો તેઓ સંબંધિત નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરી શકે છે. જો કચેરીના ધ્યાને કોઈ ચોક્કસ ભ્રષ્ટાચારનો કેસ આવશે, તો નિયમ મુજબ કડક પગલાં લેવામાં આવશે અને ગેરરીતિ જરાય સાંખી લેવામાં નહીં આવે. ફરિયાદની તપાસ નગરપાલિકાના અધિકારીઓ જ કરશે ? તે સવાલ આ સમગ્ર મામલે ફરિયાદી નિલેશ ગરાણીયાએ એક મહત્ત્વનો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે, વર્તમાન સરકારી જોગવાઈઓ હેઠળ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પદાધિકારીઓ ભ્રષ્ટાચાર આચરતા હોય તો તેમના વિરુદ્ધ જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) અને અન્ય જિલ્લા કક્ષાના અધિકારીઓ પગલાં લઈ શકે છે. પરંતુ, જો અધિકારીઓ જ ભ્રષ્ટાચાર કરતા હોય તો તેના પર કોણ કાર્યવાહી કરી શકે?. પ્રાદેશિક કચેરીઓ તપાસ કરે તો મોટા પાલે ભ્રષ્ટાચાર ખુલી શકે​નિલેશ ગરાણીયાએ આક્ષેપ કર્યો કે, પ્રાદેશિક કચેરી દ્વારા નગરપાલિકાઓના ચીફ ઓફિસરને જ તપાસ કરવા સૂચના આપવામાં આવી છે, પરંતુ જે ગેરરીતિ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જ કરવામાં આવતી હોય તો તેની તપાસ ચીફ ઓફિસરને જ સોંપવામાં આવે તો તપાસ ક્યારેય યોગ્ય દિશામાં ન થાય. તેમણે સૂચવ્યું કે, આ મામલે પ્રાદેશિક કચેરીઓ દ્વારા યોગ્ય કાયદેસર કાર્યવાહી કરી નિર્ણય લેવામાં આવે તો ઘણો ભ્રષ્ટાચાર ખૂલી શકે છે. તેમણે એમ પણ આક્ષેપ કર્યો કે મોટા શહેરો અને નગરપાલિકાઓમાં અધિકારીઓ પોતાના ફાયદા માટે એજન્સીઓને ઊંચા ભાવે કામ આપે છે અને ટેન્ડર પ્રક્રિયાને વારંવાર રિન્યુ કરવામાં આવે છે. ડી.એન. સતાણીએ સ્પષ્ટતા કરી હતી કે, તેમની કચેરી હેઠળ ચાર જિલ્લાઓની 28 નગરપાલિકાઓ આવેલી છે અને અરજદારો દ્વારા મળતી ફરિયાદોના અનુસંધાને ટેકનિકલ વિભાગ દ્વારા આ સૂચના આપવામાં આવી છે. જોકે, તેમણે ફરી ભારપૂર્વક જણાવ્યું હતું કે ફરિયાદીને જે નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થયો હોય, ત્યાંના ચીફ ઓફિસર તપાસ કરશે અને ભાવનગર પ્રાદેશિક કચેરીના ધ્યાને કોઈ પણ બાબત આવશે તો નિયમ અનુસાર પગલાં લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 9:26 pm

કન્સ્ટ્રક્શન સાઈટો પર તપાસ:ગ્રીન નેટ ન લગાવનાર સાઈટોને દંડ કરાયો, પૂર્વ વિસ્તારમાં બીયુ અને ફાયર સેફ્ટી વિનાની 13 હોસ્પિટલો સીલ

શહેરમાં બીયુ પરમિશન અને ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલોને સીલ કરવા માટેની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ અને ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવતા દક્ષિણઝોનમાં અલગ અલગ ટીમો દ્વારા 81 હોસ્પિટલોના બાંધકામ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 27 હોસ્પિટલોને માન્ય બી.યુ રજૂ કરવા નોટીસો આપવામાં આવી હતી. જે હોસ્પિટલ બિલ્ડીંગ પાસે માન્ય વપરાશ પરવાનગી ન હોય તેવી કુલ 13 હોસ્પિટલ બિલ્ડીંગોને સીલ કરવામાં આવી છે. શહેરમાં દિન પ્રતિદિન હોવાની ગુણવત્તામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કન્સ્ટ્રક્શન સાઈટો દ્વારા ધૂળ વધુ ઉડી રહી હોવાને પગલે શહેરના પૂર્વ વિસ્તારમાં દક્ષિણ ઝોન હદ વિસ્તારમાં ઓનગોઈંગ કંસ્ટ્રક્શન સાઈટ પર ગ્રીન નેટ બાબતે સર્વે કરવામાં આવ્યો. જેમાં કુલ 25 સાઈટોને ચેક કર્યા બાદ જે સાઈટ પર યોગ્ય ગ્રીન નેટ લગાવેલું ન હોય તેવી કુલ 7 સાઈટો પરથી કુલ 1.45 લાખ વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 9:08 pm

રાજસ્થાનના પિતા હાઇકોર્ટ પહોંચ્યા:ગેંગરેપ બાદ દીકરીની હત્યા થઈ હોવાનો આક્ષેપ, ગુજરાત અને રાજસ્થાન પોલીસે એમ બે વાર પોસ્ટમોર્ટમ કર્યા

રાજસ્થાનના ઉદયપુરના એક પરપ્રાંતિય વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા CID ક્રાઇમ દ્વારા તપાસ કરવાની માંગ કરી છે. તેમનો આક્ષેપ છે કે, તેમની 17 વર્ષની દીકરી મહેસાણા જિલ્લાના ઉંઝામાં રહસ્યમય રીતે મોતને ભેટી હતી. પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ તેમને દીકરીને ગેંગરેપ બાદ મારી નાખવામાં આવી હોવાની શંકા છે. કાકા અને કોન્ટ્રાક્ટર છોકરીને ગામ લઈ ગયા ત્યા મોત નીપજ્યુંએડવોકેટ આનંદ યાગ્નિક મારફતે દાખલ કરેલી અરજીમાં પિતાએ જણાવ્યું છે કે, 16 નવેમ્બરે તેમની દીકરી અન્ય છોકરીઓ સાથે ઉદયપુરથી કોન્ટ્રાક્ટર સાથે મજૂરી માટે ઉંઝા આવી હતી. છોકરીઓ એક રૂમમાં રહેતી હતી. 26 નવેમ્બરની સાંજે પિતાને સંદેશો મળ્યો કે, દીકરીની તબિયત બગડી છે. જ્યારે છોકરીના કાકા ઉંઝામાં પહોંચ્યા ત્યારે કોન્ટ્રાક્ટર અને અન્ય લોકોએ કહ્યું હતું કે, દીકરીને ભૂત વળગ્યું છે અને તેને ગામ લઈ જવા દબાણ કર્યું હતું. ત્યારબાદ કાકા અને કોન્ટ્રાક્ટર છોકરીને ગામ લઈ ગયા, જ્યાં તેનું મૃત્યુ નીપજી ચૂક્યું હતું. લોકોના દબાણવશ ઉદયપુર પોલીસે પોક્સો એક્ટ અંતર્ગત FIR નોંધીને કેસ ઉંઝા પોલીસને સોંપ્યોપરિવારજનો અને ગામલોકોએ આગ્રહ કર્યો હતો ,કે ઉંઝામાં જ પોસ્ટમોર્ટમ કરાવવું જોઈએ. 27 જૂને મૃતદેહ ઉંઝા લાવવામાં આવ્યો અને બીજા દિવસે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. અરજીકર્તાએ ઉંઝા પોલીસની અસંવેદનશીલતા અંગે આક્ષેપ કર્યો છે કે, પોલીસે FIR નોંધી નહીં અને મૃતદેહ રાજસ્થાન લઈ જવા કહ્યું. મહેસાણા SPને અરજી કરવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નહોતી થઈ. બાદમાં લોકોના દબાણવશ ઉદયપુર પોલીસે પોક્સો એક્ટ અંતર્ગત FIR નોંધીને કેસ ઉંઝા પોલીસને સોંપ્યો છે. તમામ સંબંધિત દસ્તાવેજો સોમવારે રજૂ કરવા નિર્દેશ આપ્યા હાઈકોર્ટમાં અરજદારે ઉદયપુર પોલીસને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફરી એક વાર પોસ્ટમોર્ટમ કરાવવાની નિર્દેશ માંગતી અરજી કરી હતી. પોલીસ શુક્રવારે સવારે મૃતદેહને અમદાવાદ લાવી અને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. અરજદાર તરફથી દલીલ કરતી વખતે એડવોકેટ મેઘા જાનીએ હાઈકોર્ટને જણાવ્યું કે, બીજીવારનું પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યું છે, તેથી તપાસ CID ક્રાઇમને સોંપવી જોઈએ. ઉંઝા પોલીસના વર્તનને કારણે પરિવારનો ભરોસો રહ્યો નથી. તેમણે પ્રથમ પોસ્ટમોર્ટમ રીપોર્ટ વાંચીને જણાવ્યું હતું કે, છોકરી સાથે જબરજસ્તી કરાઈ છે અને તેને મારી નાખવામાં આવી હોવાની શક્યતા છે, છતાં ઉંઝા પોલીસ FIR નોંધતી નહોતી. પ્રાથમિક સુનાવણી પછી હાઇકોર્ટે સરકાર પક્ષના વકીલને તમામ સંબંધિત દસ્તાવેજો સોમવારે રજૂ કરવા નિર્દેશ આપ્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 9:05 pm

પઠાણી ઉઘરાણી કરતા આઠ વ્યાજખોરો સામે ફરિયાદ:યુવકે અડધા નાણા ચુકવી દીધા હોવા છતાં વધુ નાણાની માગ કરતા, જાનથી મારી નાખવા આપી વ્યાજ વસુલતા શખસો સામે ફરિયાદ

મહેસાણા તાલુકાના ગોઝારિયા ગામે રહેતા અને જમીનની દલાલી કરતા યુવકે છ માસ અગાઉ આઠ જેટલા વ્યક્તિઓ પાસેથી અલગ અલગ સમયે અલગ અલગ રૂપિયા વ્યાજે લીધા હતા. ત્યારબાદ યુવકે અડધા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર યુવકને અવારનવાર પૈસાની અને વ્યાજની માગણીઓ કરી મારી નાખવાની ધમકીઓ આપતા વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલા યુવકે કંટાળીને આખરે લાઘણજ પોલીસ મથકમાં આઠ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. બાર માસ અગાઉ ફરિયાદી પાસેથી 4 લાખ વ્યાજે લીધા હતામૂળ સાબરકાંઠા જિલ્લામાં આવેલા પ્રાંતિજ તાલુકાના મજરા ગામના અને હાલ મહેસાણા તાલુકાના ગોઝારીયા ગામે પરિવાર સાથે રહેતા અને જમીન દલાલી કરતા 37 વર્ષીય સોની અજય કુમારે લાઘણજ પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, જમીન દલાલીના ધંધામાં નુકસાન જતા પરિવાનું ગુજરાન ચલાવવા અને બાળકોના અભ્યાસ માટે પૈસાની જરૂર હોવાથી બાર માસ અગાઉ ગોઝારીયામાં રહેતા પટેલ અમિત પાસેથી 4 લાખ વ્યાજે લીધા હતા. જેમાંથી ફરિયાદી એ ટુકડે-ટુકડે 2 લાખ ચૂકત કર્યા હતા. આમ છતાં અમિત પટેલ 30 લાખ ચક્રવૃદ્ધી વ્યાજના અવારનવાર માગી પઠાણી ઉઘરાણી કરતો હતો. ફરિયાદી પાસેથી 3 લાખ વ્યાજ અને મૂડીની ઉઘરાણી કરતો હતોત્યારબાદ ફરિયાદીએ છ માસ અગાઉ સમો ગામના મહેન્દ્રસિંહ પાસેથી 3.50 લાખ રોકડા લીધા હતા જેમાંથી 1.50 લાખ રોકડા પરત આપ્યા હતા. તેમજ મહેન્દ્રસિંહ ફરિયાદી પાસે વ્યાજ અને મૂડી થઈ 4 લાખ માંગતો હતો. તેમજ સમો ગામના વિશાલ સિંહ પાસેથી પણ 50 હજાર વ્યાજે લીધા હતા જેમાંથી 30 હજાર પાછા આપ્યા હોવા છતાં વિશાલસિંહ ફરિયાદી પાસેથી 3 લાખ વ્યાજ અને મૂડીની ઉઘરાણી કરતો હતો. બાદમાં ધરમ સિંહ પાસેથી 30 હજાર લીધા જેમાંથી 20 હજાર પાછા આપ્યા હોવા છતાં ધરમ સિંહ વ્યાજ મૂડી મળી 2 લાખની ઉઘરાણી કરતો હતો. આરોપી ફરિયાદી પાસેથી વારંવાર માગેલી મુડી કરતા વધારે વ્યાજે વસુલતોદિલીપ સિંહ પાસેથી 15 હજાર વ્યાજે લીધા જેમાંથી 10 હજાર પરત આપ્યા બાદ વ્યાજખોર મહેન્દ્રસિંહે 60 હજાર વ્યાજ મૂડી માગી. ત્યારબાદ ત્રણ માસ અગાઉ કોલવડા ગામના જગત સિંહ પાસેથી 1 લાખ વ્યાજે લીધા જેમાંથી ફરિયાદીએ 1.50 રોકડા પરત આપ્યા હતા. એમ છતાં જગત સિંહ વ્યાજ મૂળી મળી 6 લાખ ઉઘરાણી કરી હતી. ત્યારબાદ બે માસ અગાઉ ગોઝારીયાના જગદીશ પટેલ પાસેથી 3 લાખ લીધા જેમાંથી તે મૂડી અને વ્યાજ મળી 9 લાખની ઉઘરાણી કરી હતી. ત્રણ માસ અગાઉ યુવરાજસિંહ પાસેથી 20 હજાર વ્યાજે લીધા હતા જેમાંથી તે 1.20 લાખની ઉઘરાણી કરતા હતા. અંતે આરોપી સામે પઠાણી ઉઘરાણીની ફરિયાદ નોંધાઈઆ તમામ ઇસમો પાસેથી ફરિયાદી એ વ્યાજે પૈસા લીધા હતા. ત્યારબાદ અમુક રૂપિયા આપ્યા હોવા છતાં વ્યજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા આખરે ફરિયાદીએ લાઘણજ પોલીસ મથકમાં 8 વ્યાજખોર સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 8:58 pm

વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ:બાપુનગરમાં વ્યાજખોરોથી કંટાળી યુવકે ઉંદર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા એક યુવા કે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઉંદર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. યુવકે ત્રણેય પાસેથી કુલ 1.17 લાખ 8થી 30 ટકાના ઉંચા વ્યાજે લીધા હતા. બાદમાં વ્યાજ અને મૂડી ન ચૂકવી શકતા ત્રણેય વ્યાજખોરો ઉઘરાણી કરવા લાગ્યા હતા. જેથી કંટાળીને યુવકે દવા પી લીધી હતી. યુવકે ત્રણેય વ્યાજખોરો સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ત્રણેય વ્યાજખોરો યુવકને પઠાણી ઉઘરાણી કરવા લાગ્યા હતામળતી માહિતી મુજબ બાપુનગરમાં રહેતા રાજવીરસિંહ રાઠોડ છુટક મજૂરી કામ કરે છે. છેલ્લા એક વર્ષથી આર્થિક પરિસ્થિતી સારી ન હોવાથી તેમને વિરાજ દેસાઇ પાસેથી 20 ટકા વ્યાજે 12 હજાર લીધા હતા તેમજ હિરાવાડીના સુજલ દેસાઇ પાસેથી 8 ટકા વ્યાજે 1 લાખ લીધા હતા તેમજ બાપુનગરના મંથન ગૌડા પાસેથી 30 ટકા વ્યાજે 5 હજાર લીધા હતા. જેમાં ત્રણેય વ્યાજખોરને રાજવીરસિંહે થોડા મહિનાઓ સુધી સમયસર વ્યાજ ભર્યુ હતુ. જે બાદ આર્થિક પરિસ્થિતિ વધુ ખરાબ થતા વ્યાજ કે મૂડી આપી શક્યો ન હતો. જેથી, ત્રણેય વ્યાજખોરો યુવકને પઠાણી ઉઘરાણી કરવા લાગ્યા હતા. ત્રણેય વ્યાજખોર સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી રાજવીરસિંહ ત્રણેય વ્યાજખોરને વાયદા આપતો રહ્યો હતો ત્યારે ત્રણેય વ્યાજખોરના માનસિક ત્રાસથી કંટાળીને યુવકે ગત 4 ડિસેમ્બરે બપોરના સમયે ઘરના પાર્કિંગમાં ઉંદર મારવાની દવા પી લીધી હતી. જેની અસર થતા પાડોશી મિત્ર સિદ્ધરાજસિંહને જાણ થતા તેને હોસ્પિટલ સારવારઅર્થે લઇ ગયા હતા. આ અંગે રાજવીરસિંહે ત્રણેય વ્યાજખોર સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 8:51 pm

જળવિતરણ મથકની ઓવરહેડ ટાંકી સાથે જોડાયેલી મુખ્ય લાઈનમાં લીકેજ:સમારકામને કારણે રાંદેર ઝોનના દોઢ લાખ લોકોને પાણીકાપનો માર, 9મી ડિસેમ્બરે સાંજનો પાણી પુરવઠો બંધ રહેશે

સુરત મહાનગર પાલિકા દ્વારા રાંદેર ઝોન વિસ્તારમાં આવેલા જોગાણીનગર જળવિતરણ મથકની ઓવરહેડ ટાંકી સાથે જોડાયેલી મુખ્ય લાઈનમાં લીકેજ અને સમારકામને કારણે આગામી મંગળવાર, 9મી ડિસેમ્બરના રોજ સાંજનો પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામગીરીના પગલે રાંદેર ઝોનના જોગાણીનગર જળવિતરણ મથક સાથે જોડાયેલા અંદાજિત દોઢ લાખ વસ્તીને સીધી અસર થશે અને સાંજના સમયે પાણી નહીં મળે. પાણી પુરવઠો બંધ રાખવો અનિવાર્ય બન્યો હાઈડ્રોલિક વિભાગની ટેકનિકલ ટીમ દ્વારા જોગાણીનગર જળવિતરણ મથકની ઓવરહેડ ટાંકી સાથે જોડાયેલી 1500 મીમી વ્યાસની એમ.એસ. લાઇનમાં થયેલા લીકેજને દૂર કરવાની તથા 200 મીમી વ્યાસની બાયપાસ લાઇન બદલવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ મહત્વપૂર્ણ મેઇન્ટેનન્સ કામગીરીને કારણે જ પાણી પુરવઠો બંધ રાખવો અનિવાર્ય બન્યો છે. આ વિસ્તારોમાં રહેશે પાણી કાપ (સાંજના સમયે)9મી ડિસેમ્બરે સાંજના સમયે જોગાણીનગર જળવિતરણ મથકના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક સાથે જોડાયેલા નીચે મુજબના વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે. સુરત મહાનગર પાલિકાએ આ વિસ્તારોના રહેવાસીઓને અપીલ કરી છે કે, 9 ડિસેમ્બરે સાંજના ઉપયોગ માટે પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી લે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 8:44 pm

ઝીંઝુવાડા યુવાનનું કસ્ટોડિયલ ડેથ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો:SPની ખાતરી બાદ રાજકોટમાં પેનલ PM, ગામમાં અંતિમવિધિ

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝીંઝુવાડામાં કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો છે. એલસીબી કસ્ટડીમાં યુવાનના મૃત્યુ બાદ જિલ્લા પોલીસ વડાની ખાતરી મળતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો, ત્યારબાદ ઝીંઝુવાડામાં યુવાનની અંતિમવિધિ કરવામાં આવી. આ ઘટના બે દિવસ પહેલા બની હતી. પાટડી તાલુકાના ઝીંઝુવાડામાં મજૂરી કરતા 26 વર્ષીય ગજેન્દ્રસિંહ ઝાલાને બાઇક ચોરીના ગુનાની તપાસ માટે એલસીબી ટીમ રાત્રે ઘરેથી લઈ ગઈ હતી. સુરેન્દ્રનગર એલસીબીની કસ્ટડીમાં ગજેન્દ્રસિંહે પોતાના શર્ટ વડે શૌચાલયની જાળી સાથે બાંધી આત્મહત્યા કરી લીધી હતી. ગજેન્દ્રસિંહ ઝાલા તેમના પિતા વિનુભા અને માતા કૈલાસબા સાથે રહેતા હતા. તેમનો મોટો ભાઈ રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. કસ્ટોડિયલ ડેથ બાદ પરિવારજનોએ પોલીસ સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જોકે, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પરિવારજનોને મળીને ન્યાયીક તપાસની ખાતરી આપી હતી. પોલીસ વડાની ખાતરી બાદ પરિવારજનોએ અંતે મૃતદેહ સ્વીકાર્યો હતો. શુક્રવારે ઝીંઝુવાડામાં ગજેન્દ્રસિંહ ઝાલાની અંતિમ યાત્રામાં આખું ગામ જોડાયું હતું. આ ઘટનાથી ગામમાં અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 8:39 pm

રાજકોટ ક્રાઇમ ન્યૂઝ:પંજાબ ઓટો મોબાઇલ્સના વર્કશોપમાં મહિલા કેશીયરે રૂ.28.03 લાખની ઉચાપત કરી

શહેરના કાલાવડ રોડ પર આવેલ પંજાબ ઓટો મોબાઇલ્સના વર્કશોપ કેશીયર મહિલાએ રૂ.28.03 લાખની ઉચાપત કરી રૂપીયા પોતાના અંગત કામમાં વાપરી નાંખતા તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. શો-રૂમમાં વર્ષ 2009 થી ફરજ બજાવતાં કંચનબેન સોલંકીએ એક વર્ષનો હિસાબ જમા જ ન કરાવતા જામનગર રોડ પર ભોમેશ્વર પ્લોટમાં રહેતા અને પંજાબ ઓટો મોબાઇલ્સમાં સર્વીસ મેનેજર તરીકે ફરજ બજાવતા ભાર્ગવભાઈ પરમાર (ઉ.વ.34) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કંચનબેન ઉકા સોલંકી (રહે.ખોડીયાર ફલોર મીલ, ત્રીવેણીનગર મેઇન રોડ, એચ.જે.દોશી હોસ્પીટલ પાસે, ગુરુપ્રસાદ ચોક, હાલ કણકોટ રોડ) નું નામ આપતાં તાલુકા પોલીસે બીએનએસ એકટ 316(4) હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે, ગ્રાહક પોતાનુ વાહન લેવા માટે આવે ત્યારે કંચનબેન સોલંકી જોબકાર્ડ મુજબનો ચાર્જ ગ્રાહક ઓનલાઈન ભરવા માંગતા હોય તો ઓનલાઇન અને રોકડમાં ભરવા માંગતા હોય તો ગ્રાહક પાસેથી રૂપીયા મેળવી જોબકાર્ડમાં ગ્રાહકની સહી લઇ ગ્રાહકને બીલ આપતા તેમજ શહેર ખાતે આવેલ અન્ય બે બ્રાંચો આમ્રપાલી તથા બ્રહ્મસમાજ ચોકમાં આવેલ બ્રાંચનો પણ રોજે રોજનો હિસાબ બીજા દિવસે કંચનબેન સોલંકી પાસે જોબકાર્ડ તથા ઇનવોઇસ જમા કરાવતા હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. જે નાણા અંગત ઉપયોગ માટે લઈ ઉચાપત કરી હોવાનું જણાવ્યુ હતુ. સામાન શિફ્ટ કરતા પરિવારની નજર ચૂકવી ચોર રૂ.2.29 લાખના મુદ્દામાલ સાથેની થેલી ચોરી ગયો બાબરીયા કોલોની ક્વાર્ટર બ્લોક નં.02 માં ક્વાર્ટર નં.06 માં રહેતાં સરમનભાઈ રઘુભાઈ ઓડેદરા (ઉ.વ પર) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે સિક્યુરીટી ગાર્ડમા નોકરી કરે છે. ગઈકાલે વહેલી સવારના સમયે તેઓને મકાન ખાલી કરી અન્ય જગ્યાએ રહેવા જવાનુ હોવાથી સવારના 6 વાગ્યાની આસપાસ ઘરનો સામાન ખાલી કરી પત્ની તથા બંને દીકરી સામાન નીચે ઉતારતા હતા. જે દરમિયાન ત્યા નજીકમા રહેતો ભાવેશ ધોબી નામનો માણસ જેને સામાન ખાલી કરવા મદદરૂપ થવા બોલાવ્યો હતો. જેથી બધા સામાનને પ્લાસ્ટીકના બાચકામા ગત તા.02 ના રાત્રીના સમયે ભરી રાખ્યા હતા. તે તમામ બાચકા બ્લોકની નીચે રોડ પર રાખ્યા હતા. જેમા એક પ્લાસ્ટીકના બાચકામા થેલીમા રૂ.1,13,933 ની કિંમતનો સોનાનો ચેન, રૂ.45,645 ની કિંમતની બે જોડી સોનાની બુટી તથા રૂ. 70 હજારની રોકડ હતી. જોકે તમામ સામાન ટેમ્પામા શિફટ થઈ ગયા બાદ ત્યા નજીકમા બાબરીયા રોડ પર આવેલ મકાન ભાડે રાખેલ ત્યા ગયા અને જોયું તો સોનાના દાગીના તથા રોકડ રકમ ભરેલી થેલી ગાયબ હતી.જેથી રૂ.2.29 લાખના મુદામાલની ચોરીની ફરિયાદ નોંધાતા ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તસ્કરને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. તારૂ મર્ડર કરી ભેજું બહાર કાઢી નાખીશ તેમ કહી મહિલાને પડોશી પિતા-પુત્રની ધમકી દૂધસાગર રોડ પર રહેતી મહિલાને પાડોશમાં રહેતા પિતા-પુત્રએ ખૂનની ધમકી આપ્યાનો બનાવ થોરાળા પોલીસના ચોપડે નોંધાયો હતો. મકાન પચાવી પાડવા પાડોશીઓ અવાર નવાર ઈંટના ઘા કરી તેમજ મકાન આગળ રેંકડીઓ ઉભી રાખી ત્રાસ આપતાં હોય યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે દૂધસાગર રોડ પર હૈદરી ચોક નજીક ભગવતી સોસાયટી શેરી નં.-01 માં રહેતી 35 વર્ષીય મહિલા નફીસાબેન કરીમભાઈ મોદીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા કાદર હૈદર ચોપડા, ફારૂક કાદર ચોપડા નામના પિતા-પુત્રનું નામ આપી જણાવ્યું હતું કે, ગત તા.07/11/2025 ના તેણી ઘરે હતી ત્યારે ઘરની બાજુમાં રહેતા કાદરભાઈ ચોપડા તથા તેનો દીકરો ફારૂક તેણી અને માતાને શેરીમાં આવીને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતો. જેથી ઘરની બહાર નીકળી તેમને ગાળો આપવાની ના પાડી હતી. જેથી હુ તને જોઇ લઇશ, તુ વિચારી પણ નહીં શકે તેવા તારા હાલ કરી નાખીશ તેમ કહી ધમકી આપી હતી નજીકમાં પડેલ ઇંટ ઉપાડેલ હતી. બાદમાં તારૂ તો આજે મર્ડર કરી નાખવુ છે અને તારૂ ભેજું કાઢી નાખીશ તેવી ધમકી આપી હતી. ઇમિટેશનનું કામ કરતા યુવાનનો આર્થિક ભીંસથી કંટાળી આપઘાત રવિભાઈ જેન્તીભાઈ પાલા (ઉં.વ. 44, રહે.નંદનવન સોસાયટી, કોઠારીયા રોડ, રણુજા મંદિર પાસે, રાજકોટ)એ આજે સવારે પોતાના ઘરે ગળાફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.પરિવારને જાણ થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા આજીડેમ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પુછપરછમાં જાણવા મળેલ કે, મૃતકના તેમના પત્ની સાથે અગાઉ છૂટાછેડા થઈ ગયા હતા. રવિભાઈ 2 ભાઈમાં મોટા હતા અને ઇમિટેશનનું કામ કરતા હતા. અયોધ્યા ચોકમાં સાયકલ સવારને ફાંગોળી કારચાલક ફરાર : CCTV વાયરલ શહેરના શીતલ પાર્ક ચોકમાં ધ સ્પાયર બિલ્ડીંગમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા અશોકભાઈ મોહનભાઈ મકવાણા (ઉં.વ. 56, રહે માધાપર ચોકડી પાસે, ઝૂંપડપટ્ટીમાં) ગઈકાલે સાંજે 7 વાગ્યા આસપાસ પોતે સાયકલ લઈને ઘરેથી નોકરી પર જતા હતા ત્યારે અયોધ્યા ચોક પાસે અજાણી કારના ચાલકે તેઓને હડફેટે લેતા ઈજા પહોંચી હતી. જોકે કાર ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો જેથી ત્યાં હાજર લોકોએ ઈજાગ્રસ્ત અશોકભાઈને 108 એમ્બયુલન્સમાં સિવિલ હોસ્પિટલ સાથે ખસેડ્યા હતા. ખોરાણામાં રાત્રે બંધ ઘરમાંથી તસ્કરો રૂ.,1.70 લાખની મતા ચોરી ગયા ખોરાણા ગામે રામાપીરના મંદિર પાસે રહેતા દિનેશભાઈ પાંચાભાઇ સોલંકી (ઉ.વ. 35) દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં પત્ની પૂજા, પુત્ર માહિર (ઉ.વ. 10) સાથે રહે છે અન્ય પુત્રી જાગૃતિ પિતા પાંચાભાઇ સોલંકી તથા માતા મુક્તાબેન સાથે રહે છે. યુવાન ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા મનસુખભાઈ ભીમજીભાઇ પટેલની વાડી વાવવા રાખી છે અને છેલ્લા થોડા સમયથી યુવાનના માતા-પિતા મનસુખભાઈની વાડીમાં રહે છે.યુવાનની પત્ની પૂજાને ખેતી કામ કરતા સમયે હાથમાં ઇજા થતાં પત્ની તથા સંતાનો મનસુખભાઈની વાડીએ છેલ્લા ત્રણ દિવસથી રહેવા ગયા છે. આ દરમિયાન યુવાન ગઈકાલે સાંજના સાથે 7 વાગ્યા આસપાસ તે વાડીએથી ઘરે આવી દિવાબત્તી કરી 8 વાગ્યે ઘરને તાળું મારી વાડીએ જતો રહ્યો હતો. બાદમાં આજરોજ સવારના 6 વાગ્યે પાડોશમાં રહેતા મનસુખભાઈ સાંગાણીનો ફોન આવતા ઘરે આવીને જોતા ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હોય લોખંડનો કબાટ જેને તાળું માર્યું હતું તે તાળું તૂટેલું હતું અને દરવાજો ખુલ્લો હોય તિજોરીમાં જોતા તેમાં રાખેલ રોકડ રકમ રૂપિયા 80 હજાર જે અઠવાડિયા પહેલા જ કપાસ વેચ્યો હતો.તેના પૈસા આવ્યા હોય તે રાખ્યા હતા. તે તથા સોના ચાંદીના દાગીના જેમાં સોનાની એક જોડી બુટ્ટી કાનસર સહિત એક તોલા કિંમત રૂ. 35,000 ગળામાં પહેરવાનું સોનાનું ચેન કિંમત રૂ. 35,000 પેન્ડલ કિંમત રૂ. 10,000 ચાંદીના સાંકડા બે જોડી કિંમત રૂપિયા 10,000 સહિત કુલ રૂ.1.70 લાખની મત્તા તસ્કરો ચોરી કરી ગયા હતા. જે અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોના સગડ મેળવવા ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબીની ટીમોએ તપાસ હાથ ધરી છે. સ્નૂકર ક્લબના સંચાલક પર જૂના મનદુઃખમાં 2 પડોશી શખ્સોનો હૂમલો મોટામવામાં આશુતોષ રેસિડેન્સીમાં રહેતાં પરેશભાઈ માનસિંગભાઈ મકવાણા (ઉ.વ.40) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે તેમની માતા વીણાબેન સાથે રહે છે. તે ભગતસિંહ ગાર્ડન સામે શિવ શક્તિ કોલોની ખૂણા પાસે સ્નૂકર ક્લબ ચલાવે છે. ગત રાત્રિના 12.30 વાગ્યાની આસપાસ મિત્ર ડાભી તથા મિત્ર હૈનીલ પટેલ સાથે ઉભા હતા. જે દરમિયાન ક્લબની પાડોશમાં રહેતો ઉમંગ પટેલ તથા તેનો મિત્ર રવિ ઝાલા સ્કૂટર ઉપર ત્યાં આવ્યા હતા અને જૂની વાતનું મનદુખ રાખી બોલાચાલી કરવા લાગ્યો હતો ત્યારે હેનીલ વચ્ચે પડતા તેને ગાળો આપી રવિ ઝાલાએ હેનીલ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. જે બાદ હેનીલ ત્યાંથી ચાલ્યો ગયો હતો. જેથી રવિને સમજાવતા આ બંને શખ્સો તેમની અને દિવ્યેશની સાથે બોલાચાલી કરી ઝઘડો કરી દિવ્યેશને પણ ઢીકાપાટુનો માર મારવા લાગ્યા. જેથી દિવ્યેશ તેના મિત્ર સાથે ત્યાંથી ચાલ્યો ગયો હતો.બાદમાં ઉમંગ તથા રવિ ગાળો આપી કહેવા લાગ્યા હતા કે, તને બહુ હવા છે, તારી સાથે પણ આજે સમજી લેવું છે, તેમ કહી ઢીકાપાટુનો માર મારવા લાગતા યુવાન નીચે પડી ગયો હતો. તે વખતે ઉમંગ કહેવા લાગેલ કે, આ બાબતે તે ફરિયાદ કરી છે, તો તને જાનથી મારી નાખીશ તેમ કહી મને છાતીના ભાગે પાટા માર્યા હતા. બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા ખાડાને લીધે બાઇક સ્લીપ થતા પ્રૌઢનું સારવારમાં મોત કિશોરભાઈ વલ્લભભાઈ ભરડવા (ઉં. વ. 51, રહે.રાજનગર સોસાયટી શેરી નંબર 5, નાનામોવા મેઈન રોડ, રાજકોટ) ગત તા.1 ડિસેમ્બરના બાઈક પર શાપર પોતાના મિત્રના લગ્નમાં ગયા હતા ત્યાંથી રાત્રિના 10 વાગ્યા આસપાસ પરત રાજકોટ આવતા હતા. ત્યારે પારડી બ્રિજ ઉપર રસ્તા પર ખાડાના લીધે બાઈક સ્લીપ થઈ ગયું હતું. જેમાં કિશોરભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી. જેથી તેમને પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં સારવાર દરમ્યાન આજે તેમનું મોત નીપજ્યું છે. કિશોરભાઈ ફરસાણના વેપારી છે. ચંદન પાર્કમાં ભરત નમકીન નામે તેમની પેઢી છે. તેમને સંતાનમાં 1 દીકરો છે. તેઓ પોતે 2 ભાઈ 1 બહેનમાં નાના હતા.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 8:36 pm

હત્યાના આરોપીને આજીવન કેદની સજા:પત્નીના આડા સંબંધનો વહેમ રાખીને યુવકની હત્યા કરવાના કેસમાં આરોપીને સાવલી કોર્ટે આજીવન કેદની સજા ને 20 હજારનો દંડ ફટકાર્યો

વડોદરા જિલ્લાના સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુનાના આરોપીને સાવલી અધિક સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા અને 20 હજારનો દંડ ફટકાર્યો છે અને જો દંડ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ એક વર્ષની સજાનો આદેશ કર્યો છે. કાર ચઢાવીને બંને બાઇક સવારોને ગંભીર ઈજાઓ પહોંચાડીવર્ષ-2021માં આરોપી અજય હરમાનભાઈ ઠાકરડા (રહે વસનપુરા, તા.સાવલી, જી.વડોદરા)એ પોતાની પત્ની સાથે આડા સંબંધનો વહેમ રાખીને બે યુવકો પર કાર ચઢાવીને ગંભીર ઈજાઓ પહોંચાડીને ચાકુ વડે હુમલો કરીને હત્યા કરી નાખી હતી. પોતાના જ ગામના અશોકભાઈ ઠાકરડા સાથે પ્રેમ સંબંધનો વહેમ રાખીને બનાવના દિવસે સવારે અશોકભાઈ ઠાકરડા તથા તેના મિત્ર રાજુભાઈ કાંતિ ભાઈ ઠાકરડા વહેલી સવારે બાજુના ગામમાં દૂધ ભરવા માટે બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે વસનપુરા રોડ પર કાર ચઢાવીને બંનેને બાઇક સવારોને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આરોપીને આજીવન કેદની સજા અને 20 હજારનો દંડ ફટકાર્યોરાજુભાઈ ઠાકરડા અને તેના મિત્ર અશોકભાઈ ઠાકરડાને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં રાજુભાઈ ઠાકરડા સારવાર બાદ ઘરે આવી ગયા હતા અને થોડા દિવસો બાદ રાજુભાઈ ઠાકરડાનું મોત થયું હતું. જેથી, સાવલી પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ થયો હતો. હત્યાનો આ કેસ સાવલીની અધિક સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખીને દોષિત અજયને આજીવન કેદની સજા ફટકારી છે અને 20 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 8:35 pm

વેરાવળમાં તમાકુ નિયંત્રણ અભિયાન અંતર્ગત સઘન રેડ:26 કેસ નોંધાયા, ₹6200નો દંડ વસૂલ કરાયો

ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાય અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ વેરાવળ શહેરમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ટીમે સઘન રેડ પાડી હતી. આ કાર્યવાહી દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં કુલ 26 કેસ નોંધાયા અને રૂ. 6200નો દંડ વસૂલ કરવામાં આવ્યો. તંત્ર દ્વારા જણાવાયું છે કે તમાકુ નિયંત્રણ અધિનિયમ–2003 મુજબ, 18 વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુ ઉત્પાદનો વેચવા એ ગુનો છે. દુકાનદારો માટે 18 વર્ષથી નાની વયના બાળકને તમાકુ ન વેચશો તેવો બોર્ડ લગાવવો ફરજિયાત છે. જોકે, શહેરની અનેક દુકાનોમાં આવા બોર્ડ લગાવવામાં આવ્યા ન હોવાથી ટીમે દંડાત્મક કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત, શૈક્ષણિક સંસ્થાની 100 મીટર ત્રિજ્યામાં તમાકુ વેચવું પણ કલમ 6(બ) મુજબ ગુનો ગણાય છે. આવી જગ્યાઓની આસપાસ આવેલી દુકાનોમાં તમાકુ અને તેની બનાવટોનું વેચાણ થતું જોવા મળતાં ટીમે દંડ વસૂલ કર્યો હતો. રેડ દરમિયાન, દુકાનદારોને ઈ-સિગારેટ અને છૂટક સિગારેટ ન વેચવા માટે ખાસ ચેતવણી આપવામાં આવી હતી. તંત્ર દ્વારા સ્પષ્ટ કરાયું છે કે આવા ચેકિંગ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 8:15 pm

મોડાસામાં સરદાર પટેલના જીવન પર નાટક:મ.લા. ગાંધી કોલેજના 1000થી વધુ વિદ્યાર્થીઓએ નિહાળ્યું, અકાદમીએ આયોજન કર્યું

મોડાસાની મ.લા. ગાંધી કોલેજ કેમ્પસમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર આધારિત નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પસમાં આવેલી 15 સંસ્થાઓના 1000થી વધુ વિદ્યાર્થીઓએ આ નાટક નિહાળ્યું હતું. નાટકમાં સરદાર પટેલના લોખંડી મનોબળ અને 365 રજવાડાઓને એકીકૃત કરવાની તેમની નિર્ણય શક્તિનું ચિત્રણ સ્ટેજ પર રજૂ કરવામાં આવ્યું હતું. આ નાટક વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ વ્યક્તિગત જીવનમાં ઉપયોગી થાય તે હેતુથી ભજવાયું હતું. મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ, ભગિની સંસ્થાના આચાર્યો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ નાટકની સરાહના કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંકલન કેમ્પસ કોર્ડીનેટર ડોક્ટર સંતોષ દેવકરે કર્યું હતું. સરદાર પટેલનું પાત્ર ભજવનાર કલાકાર અમિત પટેલ સાથે વિદ્યાર્થીઓએ સેલ્ફી લીધી હતી. કલાકાર અને સંકલનકર્તા આશિષ ગાંધીએ તેમના 35 કલાકારો અને ક્રૂ મેમ્બર સાથે આ નાટકની ભજવણી કરી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાત સરકારના ઉપક્રમે સમગ્ર ગુજરાતમાં સરદાર પટેલના જીવન અને કવન વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવશે. આ નાટકના ભજવણીનો પ્રથમ તબક્કો 1લી ડિસેમ્બરથી 20મી ડિસેમ્બર સુધી જુદી જુદી સંસ્થાઓ અને જિલ્લાઓમાં યોજાશે. મંડળના ઉપપ્રમુખ સુભાષભાઈ શાહે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 8:14 pm

કાલીબેલ આશ્રમશાળામાં દીપડો પાંજરે પુરાયો:વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભયમુક્ત થતા રાહત

ડાંગ જિલ્લાની કાલીબેલ આશ્રમશાળાના પરિસરમાં છેલ્લા ઘણા દિવસોથી દહેશત ફેલાવનાર દીપડો આજે વહેલી સવારે પાંજરે પુરાયો છે. વનવિભાગની ટીમે દીપડાને પકડી પાડતા વિદ્યાર્થીઓ, સ્ટાફ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. આશ્રમશાળાના કેમ્પસમાં દીપડાની સતત અવરજવરને કારણે વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભયનો માહોલ હતો. ખાસ કરીને સવાર-સાંજ દીપડો શાળાની આસપાસ ફરતો જોવા મળતા કર્મચારીઓ, શિક્ષકો અને ગ્રામજનોમાં ભારે ચિંતા વ્યાપી હતી. આશ્રમશાળાના આચાર્યએ પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં લઈ તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને દીપડાને પકડવા માટે આશ્રમશાળાના પરિસરમાં વ્યૂહાત્મક રીતે પાંજરું ગોઠવ્યું હતું. અનેક દિવસોની રાહ જોયા બાદ આજે વહેલી સવારે દીપડો પાંજરામાં સપડાયો હતો. વનવિભાગની ટીમે કુશળતાપૂર્વક દીપડાનો કબજો લઈ તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. દીપડો પકડાતા જ સમગ્ર ગામ અને આશ્રમશાળામાં ખુશી અને રાહતનો માહોલ છવાઈ ગયો હતો. આશ્રમશાળાના આચાર્યએ જણાવ્યું કે વનવિભાગની સમયસરની કાર્યવાહીને કારણે કોઈ અનિચ્છનીય ઘટના બની નથી અને બાળકો હવે સુરક્ષિત છે. ગ્રામજનોએ પણ વનવિભાગની ત્વરિત કામગીરીને બિરદાવી હતી. વનવિભાગના અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું કે જંગલ વિસ્તાર માનવ વસાહતની સરહદે આવેલો હોવાથી વન્યજીવોની અવરજવર સામાન્ય છે. તેમણે આવી પરિસ્થિતિમાં સતર્ક રહેવા અને તાત્કાલિક જાણ કરવા વિનંતી કરી હતી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 8:09 pm

બોટાદ ટ્રાફિક પોલીસે ચોરાયેલી બાઇક સાથે એકને ઝડપ્યો:વઢવાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનડિટેક્ટ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો

બોટાદ ટ્રાફિક પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી એક મોટરસાઇકલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન વઢવાણની અનડિટેક્ટ મો.સા. ચોરીનો ભેદ ઉકેલાયો છે. બોટાદ જિલ્લા ટ્રાફિક શાખાના PSI એમ. એમ. રાવલ અને બી. વી. ચૌધરી તેમની ટીમ સાથે શહેરના સ્ટેશન રોડ, જુની કોર્ટ બિલ્ડિંગ પાસે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન, નંબર પ્લેટ વગરની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ સાથે એક શંકાસ્પદ શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે પૂછપરછ કરતાં શખ્સે પોતાનું નામ લાલજીભાઈ ધીરૂભાઈ સાંકળીયા જણાવ્યું હતું. તેની પાસે મોટરસાઇકલના કોઈ દસ્તાવેજ ન મળતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ મોટરસાઇકલ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી હતી અને તે અંગેનો ગુનો વઢવાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે. આરોપી લાલજીભાઈએ મોટરસાઇકલની માલિકી અંગે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. ટ્રાફિક પોલીસે રૂ. 20,000ની કિંમતની મોટરસાઇકલ B.N.S.S. કલમ 106 હેઠળ જપ્ત કરી છે. આરોપી લાલજીભાઈ સાંકળીયાની B.N.S.S. કલમ 35(1)(ઇ) મુજબ ધરપકડ કરવામાં આવી છે. બોટાદ ટ્રાફિક શાખાએ આ રીતે અનડિટેક્ટ મો.સા. ચોરીનો ગુનો સફળતાપૂર્વક શોધી કાઢ્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 8:06 pm

સુરતમાં આગના ત્રણ બનાવો:પાર્લે પોઇન્ટમાં મેરિયોટ હોટલના સ્ટાફના બિલ્ડિંગમાં આગથી અફરાતફરી, કતારગામમાં બંધ મકાનમાં આગ; પુણામાં ઝૂંપડું સળગીને ખાખ, કોઈ જાનહાનિ નહીં

સુરત શહેરમાં આજે આગ લાગવાની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી હતી, જેમાં એક બનાવ પોશ ગણાતા પાર્લે પોઇન્ટ વિસ્તારમાં અને બીજો બનાવ કતારગામ વિસ્તારમાં બન્યો હતો. જ્યારે પુણા વિસ્તારમાં ઝૂંપડાંમાં આગ લાગતા થઈ નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે, ત્રણેય ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી અને ફાયર બ્રિગેડે સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. પહેલા બનાવમાં પાર્લે પોઇન્ટ વિસ્તારમાં મેરિયોટ હોટલ નજીક આગ પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત મેરિયોટ હોટલની બાજુમાં આવેલા એક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. મેરિયોટ હોટલની બાજુમાં આવેલું મકાન જે મકાનમાં આગ લાગી હતી, તે મકાનમાં મેરિયોટ હોટલનો સ્ટાફ રહેતો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, આ આગ લાગવાનું કારણ મોબાઈલના ચાર્જિંગમાં શોર્ટ-સર્કિટ થવાથી આગ લાગી હોવાનું માનવામાં આવે છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ટીમે ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીની મિનિટોમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થવા પામી નથી. બીજા બનાવમાં કતારગામના ત્રિભોવન નગર સોસાયટીમાં બંધ મકાનમાં આગ આગ લાગવાનો બીજો બનાવ શહેરના કતારગામ વિસ્તારમાં સામે આવ્યો હતો. કતારગામ વિસ્તારમાં આવેલી ત્રિભોવન નગર સોસાયટીમાં એક બંધ મકાનમાં અચાનક આગ લાગી હતી. કતારગામ વિસ્તારમાં આવેલી ત્રિભોવન નગર સોસાયટીના બંધ મકાનમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ કતારગામ ફાયર સ્ટેશનની કુલ ચાર ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને આગળ વધતી અટકાવી હતી અને તેના પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો. બંધ મકાનમાં આગ કયા કારણોસર લાગી હતી, તે હાલ અકબંધ છે અને ફાયર વિભાગ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગની સમયસર અને ઝડપી કામગીરીના કારણે બંને સ્થળોએ આગને વ્યાપક નુકસાન થતાં અટકાવવામાં આવ્યું હતું અને કોઈ જાનહાનિ થઈ ન હતી. ત્રીજા બનાવમાં પુણાગામમાં ઝૂંપડાંમાં આગ લાગતા થઈ નાસભાગ પુણાગામમાં ભક્તિધામ મંદિર પાસે આવેલા હળપતિવાસમાં આજે શુક્રવારે સવારે એક ઝૂંપડામાં આગ ફાટી નીકળતા ત્યાં હાજર લોકોમાં ગભરાટ ફેલાતા ભાગદોડ થઈ જવા પામી હતી ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ પુણાગામમાં ભક્તિધામ મંદિર પાસે આવેલી હળપતિવાસમાં રહેતા લક્ષ્મીબેન રાઠોડના ઝૂંપડામાં આજે શુક્રવારે સવારે અચાનક આગ ભડકી ઉઠી હતી જેથી આજુબાજુના લોકોમા ભય ફેલાતા તરત બહાર દોડી આવ્યા હતા જોતજોતામાં આગ ફેલાતા ત્યાં વધુ પ્રમાણમાં ધુમાડો નીકળતા હાજર લોકો ભાગદોડ થઈ જવા પામી હતી. ફાયરે આજુ બાજુના ઝૂપડાંઓને બચાવી લીધા હતા. આગના લીધે, ઘરવખરી, કપડા, ગાદલા, પંખો સાહિતની ચીજવસ્તુઓને નુકશાન થયું હતું. ફાયર વિભાગે અડધો કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 8:06 pm

ગિરનાર રોપ-વે પર મોકડ્રિલ:રોપ-વે પર ઈમરજન્સીની પરિસ્થિતિનો સામનો કરવા મોકડ્રિલનું આયોજન, 15 મિનિટમાં 9 ‘બેભાન’ પર્યટકોનું સફ્ળ રેસ્ક્યુ,

જૂનાગઢ: ધાર્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા ગિરનાર પર્વત પર આવેલા પવિત્ર યાત્રાધામ અંબાજી અને દત્તાત્રેયના દર્શન કરવા માટે રોપ-વે મારફત મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ જોવા મળે છે. લાખો શ્રદ્ધાળુઓ અને પર્યટકોની અવરજવર વચ્ચે કોઈ અનિશ્ચિત બનાવ બને તો તંત્ર કેટલું સજ્જ છે, તેની ચકાસણી માટે આજે સાંજે ગિરનાર રોપ-વે ખાતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને 'ભાગદોડ'નો કોલ ​જૂનાગઢ ડિઝાસ્ટર વિભાગના ઇન્ચાર્જ મામલતદાર મહેશકુમાર દવેએ આ ઘટના અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આજે સાંજે ભવનાથમાં ગિરનાર રોપ-વે ખાતે ઉષા બ્રેકો કંપનીના લોઅર સ્ટેશનમાં અચાનક ભાગદોડ મચી ગઈ હોવાનો અને અનેક પર્યટકો બેભાન થયા હોવાનો મેસેજ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને મળ્યો હતો. આ કોલ મળ્યાના માત્ર 10 મિનિટના ટૂંકા ગાળામાં જ ડિઝાસ્ટરની ટીમો સાથે NDRFની ટુકડી, પોલીસ, ફોરેસ્ટ વિભાગ, આરોગ્ય વિભાગની ટીમો અને ફાયર બ્રિગેડ સહિતના તમામ સંબંધિત વિભાગોની ટીમો રોપ-વે ખાતે દોડી આવી હતી. ટીમોએ તાત્કાલિક એલર્ટ એલાર્મ વગાડીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ​15 મિનિટમાં 9 લોકોનું સફ્ળ રેસ્ક્યુ ​રેસ્ક્યુ ટીમો જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે રોપ-વેના લોઅર સ્ટેશનના પરિસર વિસ્તારમાં તેમજ અમુક ટ્રોલીઓમાં કેટલાક પર્યટકો અને રોપ-વેના કર્મચારીઓ બેભાન હાલતમાં પડેલા હતા. ત્વરિત રેસ્ક્યુ ટીમ અને આરોગ્ય વિભાગની ટીમોએ તમામ લોકોને બહાર કાઢ્યા હતા.બેભાન થયેલા લોકોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. વધુ સારવાર માટે તમામ લોકોને 108એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.માત્ર 15 મિનિટના સઘન ઓપરેશન દરમિયાન રોપ-વેની ટ્રોલીમાં ફસાયેલા અને પરિસરમાં બેભાન થયેલા મળીને કુલ નવ જેટલા પર્યટકો અને કર્મચારીઓને ‘બચાવી’ લેવામાં આવ્યા હતા. મોકડ્રિલનો હેતુ અને સજ્જતાની ચકાસણી ​ડિઝાસ્ટર ઇન્ચાર્જ મામલતદાર મહેશકુમાર દવેએ જણાવ્યું હતું કે આખું ઓપરેશન એક મોકડ્રિલ હતું. તેમણે જણાવ્યું કે, એનડીઆરએફની ટીમને નિયમ અનુસાર વર્ષમાં બે વખત આવી મોકડ્રિલ કરવાની હોય છે, જે અંતર્ગત આજે ગિરનાર રોપ-વે ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ કામગીરી દરમિયાન એનડીઆરએફની ટીમ તેમના તમામ સાધનો સાથે સંપૂર્ણ માસ્ક પહેરીને પહોંચી હતી અને સફળતાપૂર્વક કામગીરી કરી હતી. આ મોકડ્રિલ દરમિયાન તમામ વિભાગે ત્વરિત રિસ્પોન્સ આપીને સાબિત કર્યું કે ભીડવાળી જગ્યાએ કોઈ અનિશ્ચિત પરિસ્થિતિ ઊભી થાય તો જાનમાલની નુકસાની અટકાવવા માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. આ મોકડ્રિલનો મુખ્ય હેતુ ગિરનાર જેવા સંવેદનશીલ સ્થળે ડિઝાસ્ટર મેનેજમેન્ટની તૈયારીઓનું મૂલ્યાંકન કરવાનો હતો.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 8:03 pm

શિક્ષણ વિભાગે આખરે ભૂલ સુધારી: ધુળેટીના બદલે હવે આ તારીખે લેવાશે ધો.10-12 બોર્ડની પરીક્ષા

Gujarat STD.10-12 Board Exam : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કર્યુ હતું. જેમાં 4 માર્ચના રોજ ધુળેટીની જાહેર રજા હોવા છતાં પેપરનું આયોજન કરાતા વાલી-વિદ્યાર્થી મૂંઝવણમાં મૂકાયા હતા. જોકે, આ મામલે શિક્ષણ બોર્ડે ભૂલ સુધારીને બોર્ડની પરીક્ષાની તારીખ બદલી હોવા અંગે પરિપત્ર જાહેર કર્યો છે.

ગુજરાત સમાચાર 5 Dec 2025 8:02 pm

સિંધુભવન રોડ પર બાઇકની ટક્કરની અદાવતમાં ખૂની ખેલ:તલવારથી માથા પર ઘા મારી યુવકને ગંભીર રીતે ઘાયલ કર્યો, ચાર આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો

અમદાવાદમાં દિન-પ્રતિદિન સામાન્ય બાબતોમાં મારામારીની ઘટનાઓ વધી રહી છે. શહેરના સિંધુભવન રોડ પર બાઈકની સામાન્ય ટક્કર થતાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. યુવકને માથાના ભાગે તલવારનો ઘા મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે, જ્યાં તેની ફરિયાદના આધારે પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાઈક ચાલકે ટક્કર મારતાં બંને નીચે પડ્યા હતામળતી માહિતી મુજબ વચનારામ રબારી નોકરી પૂરી કરીને તેમના સહકર્મી પ્રવીણ હિરાગર અને અન્ય સ્ટાફ સાથે સિંધુ ભવન રોડ પર સુપર માર્કેટની બહાર ઊભા હતા. તે સમયે એક બાઈક ચાલકે પ્રવીણ હિરાગરને ટક્કર મારતાં બંને નીચે પડ્યા હતા. નીચે પડ્યા બાદ ઉશ્કેરાયેલા મોટરસાયકલ ચાલક અને તેના સાથીએ પ્રવીણ હિરાગરને માર મારવાનું શરૂ કર્યું હતું. આ ઝઘડામાં વચનારામ રબારી અને અન્ય સહકર્મી જગદીશ ભાઈએ વચ્ચે પડીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણ અજાણ્યા શખસોએ તલવાર લઈને હુમલો કર્યો હતોબાઈક ચાલક કમલેશ પરમારે તેના સાથીદાર વાસુને તેના અન્ય માણસો હિમ્મત અને ચેતનને હથિયાર સાથે બોલાવી લાવવા કહ્યું હતું. કમલેશ પરમાર અને વાસુ સાથે ત્રણ અજાણ્યા શખસો ત્યાં તલવાર લઈને આવી પહોંચ્યા હતા. તે પૈકીના એક શખસે હાથમાં તલવાર લઈને ફરિયાદી વચનારામ રબારી પર જાનથી મારી નાખવાના ઈરાદે માથાના ભાગે ઘા કરી જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને લોહીલુહાણ હાલતમાં સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેના માથામાં ટાંકા આવ્યા છે અને સારવાર ચાલી રહી છે. હુમલો કર્યા બાદ ચારેય આરોપીઓ ધમકી આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા, જેમના વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:59 pm

પંચમહાલ SP ડૉ.હરેશ દુધાતનો ગાય દોહતો વીડિયો વાયરલ:ગૌ-તસ્કરો સામે કડક IPS અધિકારીએ આપ્યો સંસ્કૃતિ સાથે જોડાવાનો સંદેશ

પંચમહાલ જિલ્લા પોલીસ વડા (SP) ડૉ. હરેશ દુધાત ગુનેગારો સામેની કડક કાર્યવાહી માટે જાણીતા છે. તાજેતરમાં, તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગાય દોહતો એક વીડિયો શેર કર્યો છે, જે વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ એક સામાન્ય પશુપાલકની જેમ અત્યંત સાદગીથી ગાયનું દૂધ દોહતા જોવા મળે છે. આ પોસ્ટ એટલા માટે સૂચક છે કારણ કે, થોડા સમય પહેલાં જ એસ.પી. ડૉ. દુધાતે પંચમહાલ જિલ્લામાં ગૌ-તસ્કરી અને ગૌવંશની કતલ જેવી પ્રવૃત્તિઓ ડામવા માટે એક સ્પેશિયલ સ્ક્વોડની રચના કરી છે. એક તરફ કાયદાનો અમલ કરીને ગૌવંશને બચાવવા સક્રિય આ અધિકારીએ બીજી તરફ જાતે ગૌસેવા કરતો વીડિયો મૂકીને પોતાની કથની અને કરણીમાં એકસૂત્રતા દર્શાવી છે. વીડિયો શેર કરતા તેમણે કેપ્શનમાં 'ગૌ સેવા, ગૌ કૃપા, અને દૂધ દોહવાની દિવ્ય અનુભૂતિ' લખ્યું છે. પોલીસ યુનિફોર્મથી દૂર, ઘરગથ્થુ કપડામાં જિલ્લાના વડાને આ રીતે ગૌસેવા કરતા જોઈને લોકોમાં કુતૂહલ અને આદર વધ્યો છે. આ વીડિયો દ્વારા તેમણે સંદેશ આપ્યો છે કે હોદ્દો ગમે તેટલો મોટો હોય, વ્યક્તિએ પોતાની સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવું જોઈએ. આ બાબતે ડૉ. હરેશ દુધાતે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા માનવામાં આવે છે. ગોધરામાં ગૌવંશની ગેરકાયદે કતલ અટકાવવા માટે ખાસ સ્ક્વોડ કાર્યરત છે. તેમણે ગાય દોહવાના પોતાના અનુભવને વર્ણવતા કહ્યું કે, ગાયના આંચળને સ્પર્શ કરતા જ તેમને એક વિશેષ આનંદની અનુભૂતિ થઈ હતી. તેમણે લોકોને ગૌ-તસ્કરી કરતા તત્વોની બાતમી આપવા અપીલ કરી હતી. સાથે જ પશુપાલકોને પણ વિનંતી કરી હતી કે જો તેઓ ગાયને માતા માને છે, તો તેને રસ્તા પર રખડતી ન છોડે જેથી તે પ્લાસ્ટિક ખાવાથી અને બીમારીઓથી બચી શકે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:52 pm

વડોદરા શહેર પોલીસની મોટી કાર્યવાહી:કોમ્બિંગ ઓપરેશન હાથ ધરીને વર્ષોથી નાસતા-ફરતા 40 આરોપીઓને ઝડપી પાડ્યા, ખોવાયેલા 21 મોબાઈલ ફોન પરત મળ્યા

વડોદરા શહેર પોલીસે વર્ષોથી નાસતા-ફરતા 4પી આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ખોવાયેલા 21 મોબાઈલ ફોન પરત મળ્યા છે, જે મૂળ માલિકોને પરત કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. વડોદરા શહેર પોલીસે આંતરરાજ્ય સ્તરે મોટું કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર તથા અધિક પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલની સૂચનાથી અને ડીસીપી ક્રાઈમ હિમાંશુકુમાર વર્માના નેતૃત્વ હેઠળ ક્રાઈમ બ્રાન્ચ તથા ઝોન-1થી 4ની ટીમોએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 15 દિવસની વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાંથી લાંબા સમયથી નાસતા-ફરતા રહેલા કુલ 40 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓ 2005 પહેલાંથી લઈને 2025 સુધીના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હતા. તેમાંથી વર્ષ 2016થી 2025ના 17 આરોપી, 2006થી 2015ના 16 આરોપી અને 2005 પહેલાંના 7 આરોપી ઝડપાયા છે. એક આરોપી પહેલેથી જ જેલમાં હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 8 આરોપીઓનું મૃત્યુ થયું હોવાથી તેમના મૃત્યુ પ્રમાણપત્રો તથા અન્ય દસ્તાવેજો મેળવીને તેમના નામ કમી કરાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, વડોદરા શહેરમાંથી ચોરી કે ગુમ થયેલા મોબાઈલ ફોનની શોધખોળ માટે CEIR પોર્ટલનો ઉપયોગ કરીને ઉપરોક્ત ચાર રાજ્યોમાં એક્ટિવ થયેલા 21 મોબાઈલ ફોન સફળતાપૂર્વક રિકવર કરવામાં આવ્યા છે. આ તમામ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:44 pm

સગીરા સાથે દુષ્કર્મ આચરનાર માસાને આજીવન કેદની સજા:લગ્નની લાલચ આપીને અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું, કલોલ કોર્ટે 50 હજારનો દંડ ફટકાર્યો

સગીર વયની ભત્રીજીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરનાર સગા માસાને કલોલની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી સમાજમાં દાખલો બેસાડ્યો છે. આરોપીએ સંબંધની મર્યાદા તોડીને વિશ્વાસઘાત કર્યો હોવાથી કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ કડક હુકમ કર્યો છે. આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપીને અપહરણ કર્યું હતુંઆ કેસના આરોપી માસાએ ભોગ બનનાર 16 વર્ષ 11 માસની ઉંમરની સગીરા સગા માસા થતો હતો. આરોપીએ 29 ડિસેમ્બર 2020ના રોજ છત્રાલ ગામમાંથી સગીરાને લગ્નની લાલચ આપીને અપહરણ કર્યું હતું અને 10 દિવસથી વધુ સમય સુધી ગોંધી રાખી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટમાં 27 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયાઆ મામલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જે કેસ કલોલ કોર્ટમાં પાંચમા એડિશનલ સેશન્સ જજ બી.આર. રાજપૂતની કોર્ટમાં ચાલ્યો હતો.સરકારી વકીલ આર.એલ. પટેલ અને જીગ્નેશ એચ. જોશીએ આ કેસમાં દલીલો કરી હતી. કોર્ટમાં 27 દસ્તાવેજી પુરાવા અને 11 સાહેદોની જુબાની રજૂ કરવામાં આવી હતી. ગાર્ડિયનની ભૂમિકાનું ઉલ્લંઘન કરીને જઘન્ય ગુનો આચર્યોઆ કેસમાં સરકારી વકીલ જીગ્નેશ જોશીએ કોર્ટને દલીલ કરી હતી કે, આરોપી ભોગ બનનારના માસા થતા હોવા છતાં તેણે ગાર્ડિયનની ભૂમિકાનું ઉલ્લંઘન કરીને આ જઘન્ય ગુનો આચર્યો છે. સમાજમાં આવા ગુના અટકાવવા અને દાખલો બેસાડવા માટે આરોપીને સખતમાં સખત સજા કરવી જરૂરી છે. માસાને આજીવન કેદ અને 50 હજારનો દંડ કોર્ટે તમામ પુરાવા અને દલીલોને માન્ય રાખી આરોપી માસાને તકસીરવાન ઠેરવી આજીવન (છેલ્લા શ્વાસ સુધી) કેદની સજા અને 50 હજારનો દંડ ભોગવવાનો આદેશ આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:42 pm

અગ્નિવિર તાલીમ પૂર્ણ કરી યુવાન પરત ફર્યો:પેઢમાલા ગામમાં ભવ્ય સ્વાગત કરાયું

હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામમાં અગ્નિવિરની તાલીમ પૂર્ણ કરીને પરત ફરેલા યુવાન ચેતનસિંહ ચૌહાણનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગામલોકોએ શોભાયાત્રા કાઢીને તેમનું અભિવાદન કર્યું હતું. ચેતનસિંહ ચૌહાણે સાત મહિનાની અગ્નિવિર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તેમના પરત ફરવાથી હિંમતનગર પંથક, પેઢમાલા ગામ અને ચૌહાણ પરિવારનું ગૌરવ વધ્યું છે. પુત્રને આર્મી જવાનના રૂપમાં જોઈને પિતા ભાવુક થયા હતા અને તેમની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ઉઠ્યા હતા. ગ્રામજનો પણ પોતાના ગામનો યુવાન દેશની રક્ષા કરશે તે જાણીને અત્યંત ખુશ હતા અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:35 pm

પરિવાર લગ્નમાં ગયો ને તસ્કરો ઘરમાં ત્રાટક્યા:સોમનાથ રોડ પરની ક્રિષ્નવીલા સોસાયટીમાં આવેલા મકાનમાં ચોરી,1 લાખથી વધુના મત્તાની ચોર ચોરી કરી ફરાર

મહેસાણા શહેર તેમજ તાલુકામાં તસ્કરો બેફામ બન્યા છે.ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટના નોંધાયા બાદ હવે શહેરી વિસ્તારોમાં ચોરીની ઘટના સામે આવી છે. મહેસાણા શહેરના સોમનાથ રોડ પર આવેલ સોસાયટીમાં રહેતો પરિવાર અમદાવાદ લગ્નમાં ગયો એ દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડા તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ 1 લાખથી વધુના મત્તાની ચોરીની ઘટનાને તસ્કરોએ અંજામ આપ્યો છે. પરિવાર લગ્નમાં ગયો ને તસ્કરો ઘરમાં ત્રાટક્યામહેસાણા શહેરમાં સોમનાથ રોડ પર આવેલા કૃષ્ણ વિલા સોસાયટીમાં આવેલા મકાન નંબર 36 માં રહેતા પરમાર દિલીપ કુમારે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે 29 નવેમ્બર 2025ના રોજ તેઓ અમદાવાદ ખાતે લગ્નમાં પોતાના પરિવાર સાથે ગયા હતા.એ દરમિયાન તસ્કરોએ એમના ઘરને નિશાન બનાવી તાળા તોડી ઘરમાં ઘુસ્યા હતા. તસ્કરો 1 લાખના મત્તાની ચોરી કરી રફુચક્કર આ દરમિયાન તસ્કરોએ ઘરનો સામાન અસ્તવ્યસ્ત કરી મુક્યો હતો.ફરિયાદીના પાડોશીએ ફરિયાદીને ચોરી અંગે જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા અને ઘરમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તસ્કરો ઘરમાં ડબ્બામાં મુકેલા 95 હજાર રોકડા,સોનાની ચુની કિંમત 2000,ચાંદીની વીંટી 500 રૂ. ચાંદીની પાયલ કિંમત 3000, ચાંદીનું પેન્ડલ કિંમત 1500, ચાંદીની કંઠી રૂ 3000, રસોડામાં રાખેલ કરીયાનું કિંમત 2000 મળી તસ્કરો કુલ 1 લાખ 7 હજાર 700 રૂપિયાના મત્તાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા.સમગ્ર ચોરીની ઘટના અંગે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:33 pm

હિંમતનગરના હુંજ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો:જરૂરિયાતમંદ દર્દીઓ માટે 15 યુનિટ રક્ત એકત્રિત કરાયું

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના હુંજ ખાતે GMERS મેડિકલ કોલેજ અને જાયન્ટ્સ હિંમતનગર સહિયરના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો મુખ્ય હેતુ જિલ્લાની જોખમી સગર્ભા માતાઓ, ગંભીર બીમારી ધરાવતા બાળકો, ટીબી, થેલેસેમિયા, સિકલ સેલ અને અન્ય ગંભીર બીમારીઓથી પીડિત જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક લોહી ઉપલબ્ધ કરાવવાનો હતો. આ કેમ્પમાં કુલ ૧૫ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ, બામણા ગામના મેડિકલ ઓફિસર, સ્થાનિક કર્મચારીઓ અને ગ્રામજનો સહિત અનેક લોકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:33 pm

6થી 10 ડિસેમ્બર દરમિયાન યોગા એક્સપ્રેસ મેરઠ સિટી સુધી જશે:યોગનગરી ઋષિકેશ સુધી સેવા આંશિક રદ, 8 અને 9 ડિસેમ્બરે હિંમતનગર અને ઈડર વચ્ચેની મહેતાપુરા ફાટક બંધ રહેશે

રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે. ત્યાર ઉત્તર રેલ્વેના દેહરાદુન સ્ટેશન પર ચાલતા લોકો પિટ સાઇડિંગનાં કામને કારણે યોગનગરી ઋષિકેશ જતી કેટલીક ટ્રેનોની સફરમાં તાત્કાલિક ફેરફાર કરવામાં આવ્યા છે. આ કામને કારણે સાબરમતી–યોગનગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસની સેવા બે શહેરો વચ્ચે થોડાં દિવસો માટે ટ્રેનોમાં થોડી અસર થશે. ટ્રેન નંબર 19031 (સાબરમતી–યોગનગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ)6 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર 2025 સુધી આ ટ્રેન યોગનગરી ઋષિકેશ સુધી નહીં જાય. ટ્રેન માત્ર મેરઠ સિટી સુધી જ દોડશે.એટલે કે મેરઠ સિટીથી યોગનગરી ઋષિકેશ વચ્ચે સેવા રહેશે નહીં. ટ્રેન નંબર 19032 (યોગનગરી ઋષિકેશ–સાબરમતી યોગા એક્સપ્રેસ)7 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર 2025 સુધી આ ટ્રેનનું પ્રસ્થાન યોગનગરી ઋષિકેશ પરથી નહીં થાય. તેના બદલે ટ્રેન મેરઠ સિટીથી શરૂ થશે. એટલે કે યોગનગરી ઋષિકેશ–મેરઠ સિટી વચ્ચે મુસાફરી શક્ય નહીં હોય. 8 અને 9 ડિસેમ્બરે રેલવે ક્રોસિંગ નં. 86A મહેતાપુરા ફાટક બંધ રહેશે પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના હિંમતનગર–ખેડબ્રહ્મા સેકશનમાં હિંમતનગર અને ઈડર વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નં. 86A મહેતાપુરા ફાટક કિ.મી. 6/1-2, સમારકામ માટે 8 ડિસેમ્બરના રોજ સવારે 9 વાગ્યાથી 9 ડિસેમ્બરના રોજ સાંજે 9 વાગ્યા સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન અહીં થી જતા મુસાફરોએ હિંમતનગર–ઈડર બાયપાસ અને મહેતાપુરા RTO રોડનો ઉપયોગ કરી શકશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:28 pm

સસ્તા અનાજ દુકાનનો પરવાનો રદ કરવા માંગ:બાંગાપુરા ગ્રામજનોનો વિરોધ, રદ થયેલી દુકાનને ફરી મંજૂરી મળતા અધિક કલેક્ટરને આવેદનપત્ર

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બાંગાપુરા ગામમાં સસ્તા અનાજની દુકાનના પરવાનાને લઈને વિવાદ સર્જાયો છે. ગ્રામજનોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરી છે કે કાળા બજારના આરોપસર જે દુકાનનો પરવાનો રદ કરાયો હતો, તેને ફરીથી મંજૂરી ન આપવી જોઈએ અને કાયમી ધોરણે બંધ કરવી જોઈએ. આ ઘટનાનો મૂળ 2 જુલાઈ, 2025 (આપેલ તારીખ મુજબ) ના રોજ થયેલી 'જનતા રેડ' માં છે. તે સમયે, સસ્તા અનાજ દુકાનના સંચાલક હસમુખભાઈ છોટાભાઈ બારિયા રાત્રિના સમયે ટ્રેક્ટરમાં અનાજનો જથ્થો ભરીને સગેવગે કરતા પકડાયા હતા. ગ્રામજનોએ આ માલ પકડી પાડ્યો હતો. આ ઘટના બાદ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે, જિલ્લા પુરવઠા અધિકારીએ દુકાનમાં અનાજના જથ્થામાં વધઘટ જણાતા સસ્તા અનાજની દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કર્યો હતો અને દુકાનને સીલ મારી દેવામાં આવી હતી. ગ્રામજનોએ તે સમયે આવેદનપત્ર આપીને નવી સસ્તા અનાજની દુકાનનો પરવાનો આપવાની માંગ કરી હતી. જોકે, તંત્ર દ્વારા ફરીથી એ જ સંચાલક હસમુખભાઈ છોટાભાઈ બારિયાને અનાજની દુકાનનો પરવાનો આપવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ રોષને પગલે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર સુપરત કર્યું હતું. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જે દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો હોય, તે જ દુકાનદારને ફરીથી સસ્તા અનાજની દુકાન શરૂ કરવા માટે લાયસન્સ શા માટે આપવામાં આવ્યું? હાલ ગ્રામજનો આ સસ્તા અનાજની દુકાનનો સખત વિરોધ કરી રહ્યા છે. આ મામલે તંત્ર દ્વારા હવે કેવા પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:26 pm

'પરીક્ષા પે ચર્ચા' 2026 માટે નોંધણી શરૂ:ધો. 6થી 12ના વિદ્યાર્થીઓ માટે 11 જાન્યુઆરી સુધી ઓનલાઇન સ્પર્ધાનું આયોજન, પોતાના પ્રશ્નો નરેન્દ્ર મોદીને સીધા સંબોધવાની તક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદ્યાર્થીઓ સાથેના લોકપ્રિય ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા’ની 9મી આવૃત્તિ જાન્યુઆરી-2026માં યોજાશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે 1 ડિસેમ્બર 2025થી 11 જાન્યુઆરી 2026 સુધી https://innovateindia1.mygov.in ઉપર ઓનલાઈન MCQ આધારિત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને પોતાના પ્રશ્નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધા સંબોધવાની તકસ્પર્ધામાં ભાગ લેતા દરેક વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને NCERTનું પ્રમાણપત્ર અપાશે. સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓને પોતાના પ્રશ્નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધા સંબોધવાની તક મળશે. NCERT દ્વારા પસંદ કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રશ્નો ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવશે. સ્કૂલોને #PPC2026 હેશટેગનો ઉપયોગ કરવા સૂચનાકાર્યક્રમના પ્રચાર માટે તમામ સ્કૂલોને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી #PPC2026 હેશટેગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને સ્કૂલો પોસ્ટર, ક્રિએટિવ વીડિયો વગેરે બનાવીને પણ અપલોડ કરી શકે છે. પસંદ થયેલા પોસ્ટર-વીડિયોઝ MyGov પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરવામાં આવશે. સ્કૂલોને વધુમાં વધુ વિદ્યાર્થીઓને જોડવાની સૂચના આપવામાં આવીરાજ્યની તમામ સરકારી તથા ખાનગી સ્કૂલોને વધુમાં વધુ વિદ્યાર્થીઓને જોડવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તથા અન્ય બોર્ડ સાથે સંકળાયેલી તમામ સ્કૂલોને જરૂરી કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગ દ્વારા સૂચના જાહેર કરવામાં આવી છે, જેથી રાજ્યમાંથી મહત્તમ વિદ્યાર્થીઓ સહભાગી બની શકે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:21 pm

લાવારિસ બાઈકમાંથી 2.69 લાખ અને દારૂની બોટલ મળ્યા:36 કલાક બાદ રહસ્ય ખૂલ્યું, દીકરાની ફી ભરવા નીકળેલા પિતાને ચક્કર આવતા બાઈક અને રોકડનો થેલો રસ્તા પર ભૂલી ગયા

સુરતના રાંદેર વિસ્તારમાં રામનગર ચાર રસ્તા પાસે એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં એક પાન સેન્ટરની બહાર કોઈ અજાણી વ્યક્તિ પોતાની બાઈક મૂકીને જતી રહી હતી. લાંબા સમય સુધી કોઈ બાઈક લેવા ન આવતા, આખરે દુકાનદારે શંકાના આધારે તપાસ કરી તો તે પણ દંગ રહી ગયો હતો. થેલામાંથી રોકડા 2.69 લાખ, કપડાં અને દારૂની બોટલ મળીરામનગર વિસ્તારમાં આવેલા એક પાન સેન્ટરની બહાર લાંબા સમયથી એક બાઈક પડી હતી. દુકાનદારને શંકા જતા તેણે સાવચેતીના ભાગરૂપે પોતાના મોબાઈલમાં વીડિયો ઉતારવાનું શરૂ કર્યું અને બાઈકની તલાશી લીધી.બાઈક પર લટકાવેલા એક થેલાને ખોલતા દુકાનદારના હોશ ઊડી ગયા હતા. થેલામાંથી રોકડા રૂપિયા 2.69 લાખ, ચાર જોડી કપડાં, દારૂની એક નાની બોટલ મળી આવેલ. આટલી મોટી રકમ અને દારૂની બોટલ જોઈને દુકાનદારે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જોકે, સૌથી મોટો સવાલ એ હતો કે લાખો રૂપિયા ભરેલી બાઈક મૂકીને માલિક ગયો ક્યાં? 36 કલાક બાદ માલિકનો પત્તો મળ્યોપોલીસ તપાસમાં આ બાઈક કતારગામ વિસ્તારમાં રહેતા દક્ષેશકુમાર અરવિંદભાઈ પટેલની હોવાનું સામે આવ્યું હતું. રાંદેર પોલીસે 36 કલાકની જહેમત બાદ કતારગામ પોલીસનો સંપર્ક કરી બાઈક માલિકને શોધી કાઢ્યા હતા. બાઈક દક્ષેશકુમાર અરવિંદભાઈ પટેલ (ઉંમર 46)ની હતી જે 53, પંચદેવ સોસાયટી, આંબા તલાવડી, કતારગામ રહે છે. હીરાના કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. બાઈકમાં પૈસા કેમ રાખ્યા હતા? પોલીસ સ્ટેશન પહોંચેલા દક્ષેશભાઈએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, તેઓ જહાંગીરપુરા ખાતે રહેતા મિત્રના ઘરેથી પરત ફરી રહ્યા હતા. તેમની પાસે રહેલા 2.69 લાખ રૂપિયા તેમના દીકરાની ફી ભરવા માટે હતા. 'હું મારું બાઈક અને તેમાં રહેલા લાખો રૂપિયા ત્યાં જ ભૂલી ગયો'દક્ષેશભાઈએ કહ્યું કે, હું મારા મિત્રના ત્યાંથી આવી રહ્યો હતો ત્યારે રામનગર ચાર રસ્તા પાસે મને અચાનક જ જબરદસ્ત ચક્કર આવ્યા. મારી તબિયત લથડતા હું મેડિકલ સ્ટોર શોધવા લાગ્યો. મેડિકલ સ્ટોર તો મળી ગયો, પણ ત્યાં દવાની લ્હાયમાં હું મારું બાઈક અને તેમાં રહેલા લાખો રૂપિયા ત્યાં જ ભૂલી ગયો અને ઘરે જતો રહ્યો. મારી સાથે મારા ચાર જોડી કપડાં પણ થેલામાં હતા.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:17 pm

રાજ્યની માથાદીઠ આવક પહેલી વાર 3 લાખને પાર:2023-24ના વર્ષનું GSDP 24.62 લાખ કરોડ, ભારતના ટોચના પાંચ મોટા અર્થતંત્રોમાં સ્થાન જાળવી રાખ્યું

ગુજરાતે આર્થિક ક્ષેત્રે મહત્વપૂર્ણ મંજિલ સર કરી છે. તાજેતરના આર્થિક આંકડા મુજબ રાજ્યની માથાદીઠ આવક પહેલી વાર 3 લાખને પાર પહોંચી છે. નવા આંકડા પ્રમાણે રાજ્યની પ્રતિ વ્યક્તિ આવક 3,00,957 થઈ છે, જે ભારતના મુખ્ય મોટા રાજ્યોમાં ગુજરાતને મોખરે છે. ભારતના ટોચના પાંચ મોટા અર્થતંત્રોમાં સ્થાન જાળવી રાખ્યુંઆ સાથે જ 2023-24ના વર્ષ માટે ગુજરાતનું કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન (GSDP) ₹24.62 લાખ કરોડ સુધી પહોંચ્યું છે. 2011-12માં આ આંકડો ₹6.16 લાખ કરોડ હતો, એટલે કે દાયકામાં લગભગ ચાર ગણો વધારો થયો છે. આ વૃદ્ધિ દરથી ગુજરાત ભારતના ટોચના પાંચ મોટા અર્થતંત્રોમાં સ્થાન જાળવી રાખ્યું છે. 11 વર્ષમાં ગુજરાતનો સરેરાશ વૃદ્ધિ દર 8.42% આર્થિક આંકડા બતાવે છે કે છેલ્લા 11 વર્ષમાં ગુજરાતનો સરેરાશ વૃદ્ધિ દર 8.42% રહ્યો છે, જે 10 લાખ કરોડથી વધુ અર્થતંત્ર ધરાવતા રાજ્યોમાં સર્વોચ્ચ ગણાય છે. આ જ અવધિમાં કર્ણાટકનો વૃદ્ધિ દર 7.69% અને તમિલનાડુનો 6.29% રહ્યો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું યોગદાન ₹7.43 લાખ કરોડઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતની અર્થવ્યવસ્થામાં સૌથી મોટો ફાળો આપ્યો છે. 2023-24માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું યોગદાન ₹7.43 લાખ કરોડ નોંધાયું છે. કન્સ્ટ્રક્શન અને યુટિલિટી સેક્ટરનું યોગદાન ₹2.31 લાખ કરોડ છે, જ્યારે ટ્રેડ, પરિવહન, નાણાકીય સેવાઓ અને રિયલ એસ્ટેટ સહિતના સર્વિસ સેક્ટરનો ફાળો ₹7.81 લાખ કરોડ રહ્યો છે. કૃષિ, વન અને માછીમારી દ્વારા મળીને ₹3.69 લાખ કરોડનું ઉત્પાદન નોંધાયું છે. આર્થિક નિષ્ણાતોના મતે નીતિ સ્થિરતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ આધાર અને રોકાણવાળા વાતાવરણને કારણે ગુજરાત આ વૃદ્ધિ હાંસલ કરી શક્યું છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:09 pm

રાજ્ય પોલીસ વડાની વડોદરા મુલાકાત:વિકાસ સહાયે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વડોદરા રેન્જના 3 PI અને 6 PSIનું સન્માન કર્યું, વાર્ષિક ઇન્સ્પેક્શનને લઈને વડોદરા કચેરીની પણ મુલાકાત કરી

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે વડોદરા રેન્જ આઈજી કચેરીની વાર્ષિક ઇન્સ્પેક્શનને લઈ મુલાકાત લીધી હતી. ત્યારબાદ પોલીસ વડા સાથે બેઠક યોજી હતી અને તેમની વાર્ષિક કામગીરીની સમીક્ષા પણ કરી હતી. આ ઉપરાંત ડીજીપી દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ સઘન કરવા માટે અધિકારીઓને સૂચનો પણ કરવામાં આવ્યા હતા. વડોદરા રેન્જમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર 3 પીઆઈ અને 6 પીએસઆઇને ડીજીપીએ પ્રશસ્તિપત્ર પત્ર આપી સન્માનિત સન્માનિત કર્યા છે. ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે વાર્ષિક ઇન્સ્પેક્શનને લઇ વડોદરા રેન્જ આઈજીની કચેરીની મુલાકાત કરી હતી. ત્યારબાદ રેન્જ વિસ્તાર હેઠળ આવતા ચાર જિલ્લામાં વર્ષ દરમિયાન પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરી અને વર્ષમાં નોંધાયેલા ગુના તેમજ ડિટેક્ટ થયેલા ગુના સહિતની માહિતી એકત્ર કરવા સાથે મંગાવી પણ હતી. તેમાં પણ સૌપ્રથમ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનાઓ તેમજ ડભોઈ તાલુકામાં બનેલા ડિજિટલ અરેસ્ટના ગુનાની વિગતો પહેલા મંગાવી હતી. જૂની કલેક્ટર કચેરીના ધારાસભા હોલમાં યોજાયેલી સમીક્ષા બેઠક દરમીયાન ડ્રોન સર્વેલન્સનો વધુ ઉપયોગ કરવા સાથે રાજ્ય પોલીસ વડા દ્વારા રાત્રિના સમયે સંવેદનશીલ વિસ્તારોમાં એરિયલ પેટ્રોલિંગ કરવા સાથે કોર પોલિસિંગ કરવા સૂચન કરાયું હતું. રાજ્ય પોલીસ વડાએ વડોદરા રેન્જ કચેરી સાથે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પીઆઈ અને પીએસઆઈનું સન્માન કરી પ્રોત્સાહિત કરાયા હતા અને ડીજીપીએ રેન્જ વિસ્તારના ચાર જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી બદલ 3 પીઆઈ અને 6 પીએસઆઈને પ્રશસ્તિપત્ર અને ઇનામ એનાયત કર્યા હતા. આ પ્રસંગે આઈ.જી.શેખ સહિત આઈ જી સંદીપ સિંગ, ભરૂચના એસપી, વડોદરા ગ્રામ્ય એસપી સુશીલ અગ્રવાલ, નર્મદા જિલ્લા એસપી વિશાખા ડબરાય અને છોટાઉદેપુર જિલ્લાના એસપી પણ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા રેન્જ કચેરી PI જી.વી. ગોહીલ મહિલા PI એન. એન. દેસાઈ વડોદરા ગ્રામ્ય PI વી.જી. લાંબરીયા PI એ.કે. ભરવાડ PSI પી.કે. ભુત ભરૂચ PI પી.જી.ચાવડા PSI આર.એસ.ચાવડા નર્મદા PI આર.જી. ચૌહાણ PSI સી.ડી.પટેલ છોટાઉદેપુર PI એમ.એમ.ડામોર મહિલા PSI ડી.કે.પંડયા PSI વી.એન.ચાવડા PSI એ.ડી.ચૌહાણ

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:07 pm

પંચમહાલ LCB એ વોન્ટેડ આરોપીને ઝડપ્યો:વેજલપુર પ્રોહીબિશન કેસનો આરોપી છોટાઉદેપુરમાંથી પકડાયો

પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ વેજલપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીને છોટાઉદેપુર જિલ્લામાંથી પકડવામાં આવ્યો હતો. પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલ, LCB ગોધરાએ સ્ટાફને વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા સૂચના આપી હતી. આ માટે ખાનગી બાતમીદારોની મદદ લેવામાં આવી હતી. આ સૂચના મુજબ, LCB ગોધરાના અ.હે.કો. શૈલેષકુમાર બચુભાઈને બાતમી મળી હતી. બાતમી મુજબ, વેજલપુર પ્રોહીબિશન ગુનાનો વોન્ટેડ આરોપી રાકેશભાઈ પારસીંગભાઈ રાઠવા હાલ તેના ઘરે, રાણીયા ફળીયુ, નકામલી, ચીસડીયા, તા.જી. છોટાઉદેપુર ખાતે હાજર છે. આ ચોક્કસ બાતમીના આધારે, LCB ગોધરાના પો.સ.ઈ. એસ.આર. શર્મા અને LCB સ્ટાફના માણસોએ આરોપીના ઘરે જઈ તપાસ કરી હતી. બાતમી મુજબનો આરોપી મળી આવતા તેને પકડી પાડવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી બાદ વેજલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ કરનાર ટીમમાં પો.સ.ઈ. એસ.આર. શર્મા, એ.એસ.આઈ. નાદીરઅલી નિઝામુદ્દીન, અ.હે.કો. કેહજીભાઇ સઇદુભાઇ, અ.હે.કો. સરતાણભાઇ કરમણભાઈ, અ.હે.કો. કીર્તેશકુમાર નટવરભાઈ, અ.હે.કો. શૈલેષકુમાર બચુભાઇ અને આ.પો.કો. વિજયસિંહ છત્રસિંહનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:06 pm

વલસાડમાં વીજ કરંટથી બેભાન ધામણ સાપને CPR અપાયું:રેસ્ક્યૂઅર મુકેશ વાયડને વન મંત્રી મોઢવાડિયાએ બિરદાવ્યા

વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના આમધા ગામમાં વીજ કરંટ લાગવાથી મૃત્યુના આરે પહોંચેલા એક ધામણ સાપને રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયડે CPR આપી નવજીવન બક્ષ્યું હતું. આ માનવતાભર્યા કાર્ય બદલ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ તેમને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા અને અભિનંદન પત્ર પણ મોકલ્યો હતો. આ ઘટના આમધા ગામના નિશાળ ફળિયામાં આવેલા એક ખેતરમાં બની હતી. ખેડૂતો અને મજૂરો ભાત કાપણીનું કામ કરી રહ્યા હતા ત્યારે ખેતર પાસેથી પસાર થતી વીજ કંપનીની થ્રી-ફેઝ પાવર લાઈન પર એક ધામણ સાપ ચડી ગયો હતો. થાંભલાની ટોચ પર પહોંચતા જ તેને કરંટ લાગ્યો અને તે લગભગ 15 ફૂટ ઊંચાઈથી નીચે પટકાયો. ઘટનાની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ (નવસારી-ધરમપુર-નાનાપોંઢા)ના ટીમ મેમ્બર મુકેશભાઈ વાયડને થતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા. તેમણે જોયું કે સાપની હાલત ગંભીર હતી અને તેના શ્વાસ રુંધાઈ રહ્યા હતા. મુકેશભાઈએ સમય ગુમાવ્યા વિના પોતાની પદ્ધતિ અપનાવી સાપનું મોઢું ખોલીને પોતાના મોઢા દ્વારા હવા ભરીને 'CPR' આપવાનું શરૂ કર્યું. લગભગ 25 થી 30 મિનિટ સુધી સતત સારવાર અને પ્રયત્નો બાદ સાપના શ્વાસ ફરી શરૂ થયા. સાપ સંપૂર્ણ સ્વસ્થ જણાતા મુકેશભાઈ વાયડ અને તેમના સહયોગી મિત્રો દ્વારા તેને નજીકના સુરક્ષિત ખેતરમાં કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો. આ દ્રશ્ય જોઈ હાજર ખેડૂતો અને ગ્રામજનોએ રેસ્ક્યુઅરની કામગીરીને બિરદાવી હતી. આ અંગેની જાણ થતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મુકેશભાઈ વાયડને ફોન દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એક અભિનંદન પત્ર પણ મોકલ્યો હતો, જેમાં મુકેશભાઈની કામગીરીને બિરદાવવામાં આવી હતી. મંત્રી મોઢવાડિયાએ પત્રમાં જણાવ્યું હતું કે, મુકેશભાઈ દ્વારા અત્યાર સુધીમાં 8 હજારથી વધુ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ ગુજરાત સરકાર વન્ય જીવોની સુરક્ષા માટે કામ કરી રહી છે, ત્યારે મુકેશભાઈનું આ નોંધપાત્ર યોગદાન ગુજરાત હંમેશા યાદ રાખશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:03 pm

ઉદવાડામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું:નાણાં મંત્રી કનુ દેસાઈએ STEM શિક્ષણ પર ભાર મૂક્યો

રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા વિજ્ઞાન મંડળ તથા ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ઉદવાડા, પારડી ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26 યોજાયું હતું. આ પ્રસંગે મંત્રીના હસ્તે પારડી તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળા અને ઉદવાડા પ્રાથમિક શાળાના નવા મકાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રી કનુભાઈ દેસાઈએ પોતાના સંબોધનમાં 'વિકસિત ભારત' નિર્માણમાં STEM (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ) શિક્ષણની અગત્યની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે વિજ્ઞાન ક્ષેત્રે પારસી સમાજના ઐતિહાસિક ફાળાની પણ પ્રશંસા કરી હતી, જે સ્થાનિક સમુદાયના યોગદાનને ઉજાગર કરે છે. કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક ક્ષેત્રે સફળતા માટે પ્રેરણા આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી એ. ટંડેલે સ્વાગત પ્રવચન આપતા જણાવ્યું કે, પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ, સર્જનાત્મકતા, પ્રયોગશીલતા, નવોચાર અને STEM ક્ષેત્ર પ્રત્યે રુચિ વિકસાવવાનો છે. જિલ્લાની વિવિધ શાળાઓના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ, નવીકરણીય ઊર્જા, આધુનિક ટેકનોલોજી, આરોગ્ય, રોબોટિક્સ, કૃત્રિમ બુદ્ધિ અને સામાજિક વિજ્ઞાન આધારિત નવતર મોડેલો, પ્રયોગો અને વૈજ્ઞાનિક રચનાઓ રજૂ કરી હતી. આ પ્રદર્શનો દ્વારા નવી પેઢીમાં વિજ્ઞાન પ્રત્યે ચિંતન, જિજ્ઞાસા અને અનુસંધાનની ભાવના વિકસાવવામાં મદદ મળી હતી. આ કાર્યક્રમમાં શિક્ષકો, અધિકારીઓ, વાલીઓ તથા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેને કારણે કાર્યક્રમને વિશેષ પ્રતિસાદ મળ્યો હતો. આ સમગ્ર આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા વિજ્ઞાન મંડળ તેમજ હોસ્ટ સ્કૂલના સંકલિત પ્રયાસોથી સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. આ પ્રસંગે ઉદવાડા ગામના સરપંચ, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો અને અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 7:02 pm

દીલ બાગબાગ કરતું ગાર્ડન, રોજ યોગનું મન થાય તેવો હોલ:આઉટડોર અને ઇન્ડોર ગેમ્સ એક જ છત નીચે મળે તેવું સ્પોર્ટ્સ સંકુલ, રેલવે ઓવરબ્રિજથી સમય બચાવશે, શાહે લોકાર્પણ કર્યું

ગાંધીનગરને વધુ 'લવેબલ' અને 'લીવેબલ' બનાવવાની દિશામાં આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે રૂ. 68 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. બગીચાઓના આધુનિકરણથી લઈ ફોર-લેન બ્રિજ ગાંધીનગર વાસીઓની સુવિધામાં વધારો કરશે. સ્પોર્ટસ સંકુલ અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપતો આધુનિક યોગ હોલ બાળકોથી લઈ સિનિયર સિટીઝનને ખેલખૂદથી લઈ જીવનશૈલી સુધારવામાં મદદરૂપ થશે. ત્યારે આવો 68 કરોડના ખર્ચે ગાંધીનગરને મળેલી વિકાસભેટ કેવી છે તેના પર નજર કરીએ... નાગરિકોની માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વધારોએક સમયે માત્ર કર્મચારીઓના નગર તરીકે ઓળખાતું ગાંધીનગર હવે જીવંત શહેર બની ગયું છે. વધતી વસ્તી સાથે શહેરનો વિકાસ પણ થયો છે અને નાગરિકોની માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ગાંધીનગર મહાપાલિકા દ્વારા સેક્ટર-22માં બે મહત્વના પ્રકલ્પોનું લોકાર્પણ થયું. ગુરુકુળ સ્કૂલની સામે આવેલા બગીચાનો 75 હજાર લોકોને મળશે લાભ7196 ચોરસ મીટર વિસ્તારમાં 2.48 કરોડના ખર્ચે બગીચાનું આધુનિકરણ કરાયું છે. જેની વિશેષતાની વાત કરીએ તો 5100 ચો.મી. ગ્રીન એરિયા, 422 મીટર વોક-વે, કસરતના સાધનો, બાળકોના રમકડાં અને શૌચાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલની સામે આવેલા આ બગીચાનો લાભ આશરે 75 હજાર લોકોને મળી શકશે. 50 વ્યક્તિની ક્ષમતાવાળા આધુનિક યોગ હોલનું નિર્માણસ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે 1.31 કરોડના ખર્ચે 50 વ્યક્તિની ક્ષમતાવાળા આધુનિક યોગ હોલનું નિર્માણ કરાયું છે. અહીં લોકર, ચેન્જિંગ રૂમ, શૌચાલય સહિતની સુવિધાઓ ધરાવતા આ સ્ટુડિયોથી સિનિયર સિટીઝન સહિત આશરે એક હજાર નાગરિકોને ઘર નજીક જ ધ્યાન અને પ્રાણાયામની સુવિધા મળશે. દબાણ કે પાર્કિંગ માટે ઉપયોગમાં લેવાતી જગ્યામાં સ્પોર્ટ્સ સંકુલગાંધીનગર મહાપાલિકાએ રોડ નં-6 પર નિર્માણ પામેલા ઓવરબ્રિજ નીચેની ખાલી જગ્યાનો સુઆયોજિત ઉપયોગ કરીને એક અનોખો સ્પોર્ટ્સ ઝોન વિકસાવ્યો છે. સામાન્ય રીતે દબાણ કે પાર્કિંગ માટે ઉપયોગમાં લેવાતી આ જગ્યામાં 2.07 કરોડના ખર્ચે રમતગમત સંકુલ તૈયાર કરાયું છે. અહીં પિકલબોલ, બાસ્કેટબોલ, વોલીબોલ જેવી આઉટડોર રમતો સાથે ટેબલ ટેનિસ, ચેસ અને કેરમ જેવી ઇન્ડોર રમતો પણ રમી શકાશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો લાભ આશરે 500 નાગરિકોને મળશે. જર્જરિત બગીચાનું 3.26 કરોડના ખર્ચે નવીનીકરણએજ રીતે સેક્ટર-27ના જર્જરિત બગીચાનું 3.26 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું છે આ ઉદ્યાનમાં 9300 ચો.મી. ગ્રીન એરિયા, 618 મીટર વોક-વે, 140 મીટર એક્યુપ્રેશર પાથ, એમ્ફીથિયેટર, સ્ટેજ, યોગ પ્લેટફોર્મ, સીસીટીવી અને રમતગમતના સાધનોનો સમાવેશ થાય છે. આ બગીચાના નવીનીકરણથી આશરે 70 હજાર નાગરિકોને લાભ થશે. આ વિકાસ કાર્યો ગાંધીનગરના નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવવા સાથે શહેરના સર્વાંગી વિકાસને વેગ આપશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 6:51 pm

20 વર્ષે અમિત શાહ ગુરુને મળ્યા, શિક્ષકની આંખમાં ખુશીના આંસુ:અડધો કલાક બન્નેએ વાતો કરી, વહેલી સવારે પરેડ કરાવતા એ દિવસો યાદ કરી ભાવુક થયા

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે 5 નવેમ્બરે ગાંધીનગરની મુલાકાતે હતા અને તેમણે શહેરને 68 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરીને ભેટ આપી હતી. જોકે, તેમના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે આજે તેઓ તેના ભૂતપૂર્વ શિક્ષક જીવણભાઈ પટેલ (જેઓ માણસામાં જે ડી પટેલ તરીકે ઓળખાય છે)ને મળવા માટે અચાનક તેમના ઘરે પહોંચ્યા હતાં. પરિવાર સાથે અડધો કલાકથી વધુ સમય વિતાવ્યો હતોઅમિત શાહે ગાયત્રી નગર સ્થિત પોતાના પૂર્વ શિક્ષક 89 વર્ષના જીવણભાઈ ડાહ્યાભાઈ પટેલના નિવાસસ્થાને જઈને પગે લાગીને આશીર્વાદ લીધા હતાં. શિક્ષકના ઘરે પ્રવેશતા પહેલા કેન્દ્રીય ગૃહમંત્રીએ તેમના પગરખા પણ ઘરની બહાર ઉતાર્યા હતાં અને શિષ્ટાચાર જાળવ્યો હતો. અમિત શાહે જીવણભાઈ સહિતના પરિવાર સાથે અડધો કલાકથી વધુ સમય વિતાવ્યો હતો અને ભૂતકાળના સંસ્મરણો તાજા કર્યા હતાં. 20 વર્ષે કેન્દ્રીય ગૃહ મંત્રીનું ગુરુ સાથે મિલનજીવણભાઈએ દિવ્યભાસ્કર ડિજિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ મુલાકાત 20 એક વર્ષ પછી થઈ છે. તેમણે કહ્યું કે, અમિતભાઈએ તેમને બાળપણના દિવસો યાદ કરાવ્યા અને ખાસ કરીને માણસામાં થયેલા વિકાસ અને મલાવ તળાવ એક વાર જોવા માટે આગ્રહ કર્યો હતો. 'અમિત શાહનું ભણતર સારું હતું અને તેઓ હોશિયાર વિદ્યાર્થી હતા'અમિત શાહના શિક્ષક જીવણભાઈએ ઉમેર્યું કે તેમણે અમિત શાહને પહેલા ધોરણથી સાતમા ધોરણ સુધી ભણાવ્યા હતા. તેમણે ભૂતકાળના શિક્ષકોને યાદ કરતા જણાવ્યું કે પહેલાના શિક્ષકો પૈસાનો મોહ રાખ્યા વિના બાળકોને શિક્ષણ આપતા અને છોકરાઓ હોશિયાર કેવી રીતે થાય એના પ્રયત્નો કરતા હતા. શિષ્યને જોઈને ગુરુની આંખમાં હર્ષના આંસુઅમિત શાહની ઓચિંતી મુલાકાતથી જીવણભાઈની આંખમાં હર્ષના આંસુ અને સ્થાનિકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. અમિત શાહે જતી વખતે સ્થાનિકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું . પરેડ કરાવતા તે સંસ્મરણો પણ યાદ કર્યા હતાત્યારે જીવણભાઈના પુત્ર ડોક્ટર નીલમ પટેલે જણાવ્યું કે, ઘણા વર્ષો પછી પપ્પાની મુલાકાત અમિત સર સાથે થતાં પપ્પાની આંખોમાંથી ખુશીના આંસુ આવી ગયા હતા. અમિત શાહે શિક્ષકોની સ્ટ્રીક્ટનેસ અને વહેલી સવારે એનસીસી શિક્ષક (પપ્પા) કેવી રીતે પરેડ કરાવતા હતા તે સંસ્મરણો પણ યાદ કર્યા હતા. અમિત શાહે જીવણભાઈના ઘરેથી નીકળ્યા બાદ સ્થાનિકો સાથે વાર્તાલાપ કર્યોકોઈપણ નિર્ધારિત કાર્યક્રમ વિના કેન્દ્રીય ગૃહ મંત્રીના અચાનક આગમનને કારણે ગાયત્રી નગરના સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ અને હર્ષોલ્લાસની લાગણી જોવા મળી હતી. અમિત શાહે જીવણભાઈના ઘરેથી નીકળ્યા બાદ સ્થાનિકો સાથે વાર્તાલાપ કર્યો અને અભિવાદન જીલ્યું હતું. તેમણે એક માતાને તેની બાળકીને વ્હાલ કરીને આને ભણાવજો તેમ પણ કહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 6:48 pm

કે.કે. નિરાલાએ દાભડા મસાલા કેન્દ્રની મુલાકાત લીધી:પ્રગતિશીલ ખેડૂત બહેનો સાથે પ્રાકૃતિક ખેતી અંગે સંવાદ કર્યો

કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ કે.કે. નિરાલાએ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દાભડા ગામે આવેલા મસાલા વેચાણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પ્રાકૃતિક પ્લાન્ટ નર્સરી અને બિયારણ વેચાણ કેન્દ્રની પણ મુલાકાત લઈ વિવિધ પ્રવૃત્તિઓની રૂબરૂ માહિતી મેળવી હતી. દાહોદ જિલ્લા ખેતીવાડી અધિકારી અને લાયઝન અધિકારી પ્રથિક દવેએ સંયુક્ત સચિવને જિલ્લાના ખેડૂતો, પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂતો, મહિલાઓ દ્વારા સંચાલિત મસાલા ઉદ્યોગ અને મોડેલ ફાર્મ વિશે વિગતવાર માહિતી આપી હતી. મુલાકાત દરમિયાન, સંયુક્ત સચિવ કે.કે. નિરાલાએ પ્રાકૃતિક ખેતી કરતી પ્રગતિશીલ ખેડૂત બહેનો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ ખેતીની ગુણવત્તા, જમીનની ફળદ્રુપતા અને ખેડૂતોની આવકમાં આવેલા નોંધપાત્ર બદલાવ વિશે વિગતે જાણકારી મેળવી હતી. નિરાલાએ ખેડૂત બહેનોના અનુભવો અને પ્રતિભાવો પણ સાંભળ્યા હતા, જેથી પ્રાકૃતિક ખેતીના સકારાત્મક પરિણામોને સમજી શકાય.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 6:42 pm

ભુજ નજીક ગેરકાયદે રેતીનું વહન કરતા 3 ડમ્પર ઝડપાયા:કચ્છ ટાસ્કફોર્સે 60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

કચ્છના ભુજ તાલુકાના કુરન ગામ નજીક ગેરકાયદે રેતીનું વહન કરતા ત્રણ ડમ્પર ઝડપાયા છે. કચ્છ ટાસ્કફોર્સે આ કાર્યવાહી કરી કુલ 60 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કચ્છ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિ અટકાવવા માટે ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્કફોર્સ ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિ અંગે મળતી ફરિયાદોને ગંભીરતાથી લઈ નિયમિત કાર્યવાહી કરે છે. આજ રોજ એક ફરિયાદીની બાતમીના આધારે ખાનગી વાહન દ્વારા કુરન ગામે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. રેડ દરમિયાન GJ-12-CT-5656, GJ-12-CT-3634 અને GJ-12-CT-3436 નંબરના ત્રણ ડમ્પર રોયલ્ટી પાસ કરતાં વધુ સાદી રેતીનું ગેરકાયદે વહન કરતા પકડાયા હતા. ટાસ્કફોર્સે ત્રણેય ડમ્પર સહિત કુલ 60 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સીઝ કરાયેલા વાહનોને ખાવડા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે. આ તપાસ અંગે નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 6:38 pm

શામળાજી ચેકપોસ્ટ પર પોલીસે એક કરોડ રોકડા ઝડપી પાડ્યા:ડુંગરપુરના શખસની વેન્યૂ કારમાં ₹500ના દરની 21000 નોટો મળી, બોનેટમાં કપડાંની થેલીમાં છૂપાવી હતી

શામળાજી પોલીસે રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતી એક વેન્યૂ કારમાંથી ₹1 કરોડ 5 લાખ રોકડા ઝડપી પાડ્યા છે. કપડાંની થેલીમાં ₹500ના દરની કુલ 21,000 નોટો સંતાડી હતી. આ મામલે પોલીસે ડુંગરપુરના એક આરોપીની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શામળાજી પોલીસ અણસોલ ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન એક વાદળી રંગની શંકાસ્પદ કારને રોકવામાં આવી હતી. પોલીસે કારની તલાશી લેતા તેના આગળના બોનેટમાં કપડાંની થેલીમાં છુપાવેલી ₹500ના દરની કુલ 21,000 નોટો મળી આવી હતી. પોલીસે રોકડ રકમ અંગે પૂછપરછ કરતા આરોપી કોઈ સંતોષકારક પુરાવા રજૂ કરી શક્યો ન હતો. જેથી પોલીસે ₹1 કરોડ 5 લાખ રોકડા અને આરોપીની ધરપકડ કરી છે. આ રોકડ ક્યાંથી આવી અને ક્યાં લઈ જવામાં આવી રહી હતી તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 6:37 pm