શહેરમાં પોલીસની PCR પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં કાલાવડ રોડ પર અવધના ઢાળિયા પાસે ડેકોરા સ્કાય હિલ્સની પાછળ ઝૂંપડા પાસે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઉમેશકુમાર બાલાસરા PCR વાન સાથે નીકળ્યા હતા. રાત્રિના ફરજ પર રહેલા આ કોન્સ્ટેબલને બસંત માજી, દિનેશ ચમાર, દીપક નાયક, ઠાકુર, નૂરફો અને જલધર ઉપરાંત 10થી 15 શખ્સોના ટોળાએ રોક્યા હતા અને અહીંથી નહીં જવા દઈએ તેમ કહી ગાળો આપી હતી અને પથ્થરમારો કર્યો હતો. જેના કારણે સરકારી ગાડીમાં જમણી બાજુની લાઈટ તૂટી ગઈ હતી અને 3,000નું નુકસાન પહોંચ્યું હતું. જેથી, પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તમામને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે. બેટી ગામ પાસે પ્રાઇવેટ બસના ચાલકે અચાનક બ્રેક મારતા ST બસ અથડાતા કાચ તૂટ્યોરાજકોટ-અમદાવાદ હાઈ-વે પર બેટી રામપરા ગામ તરફ જવાના રસ્તાની કટ પાસે કેશોદ ડેપોની એસટી બસ GJ 18 Z 8843 પહોંચતા આગળ જતી પ્રાઇવેટ બસ નંબર MP 44 ZE 9355ના ચાલકે અચાનક બ્રેક મારી હતી, જેના કારણે એસ.ટી. બસ પાછળથી અથડાઈ હતી અને બસના આગળના ભાગનો કાચ અને મોરાનો ભાગ તૂટી ગયો હતો. જેને લીધે રૂ.65,000નું નુકસાન પહોંચ્યું હતું. જ્યારે બસમાં બેસેલા પેસેન્જર રમીલાબેન ચાવડાને શરીરે મુંઢ ઇજા થઈ હતી. એસટી બસના ડ્રાઈવર અનિલ વાળાએ એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. કોર્ટના સજાના વોરંટમાં 2 મહિનાથી ફરાર મહિલા પકડાઈરાજકોટ કોર્ટના નેગોશિયેબલ એક્ટના ગુનામાં સજાના વોરંટના આરોપીને ભક્તિનગર પોલીસે ઝડપી પાડી છે. શહેરના હરીધવા રોડ ઉપર મોરારીનગર શેરી નંબર-2માંથી તૃપ્તિબેન પંડ્યાને પકડી પાડવામાં આવ્યા છે. આ મહિલા આરોપી વચગાળાના જામીન પરથી ફરાર હતી અને છેલ્લા બે મહિનાથી મળી આવતી ન હતી. જોકે, પોલીસને કોર્ટના સજાના વોરંટમાં ફરાર મહિલા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. દારૂના ગુનામાં સવા વર્ષથી નાસતો ફરતો આરોપી હવે ઝડપાયોરાજકોટ શહેર પોલીસ ઝોન-2ની ટીમ દ્વારા દારૂના ગુનામાં સવા વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા અને જેતપુર ઉદ્યોગ નગર પોલીસ મથકમાં દારૂના ગુનામાં ફરાર 24 વર્ષીય ફેનિલ ઉર્ફે લાલો મુકેશ દાફડાને ઝડપી પાડવામાં આવ્યો છે. જે કાલાવડ રોડ ઉપર આંબેડકર નગર શેરી નંબર-3માં રહે છે.
રાજકોટ SOG એ રૂ.5.37 લાખના મેફેડ્રોનના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. શહેરની બેડી ચોકડી પાસે રહેણાંક મકાનમાંથી પોલીસે 179.24 ગ્રામનો માદક પદાર્થનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. આ જથ્થો કોની પાસેથી લાવતા હતા અને જો તેનું વેચાણ કરતા હતા તો કેટલા સમયથી વેચતા હતા તે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના નાર્કોટિક્સ સેલને અમરેલી બાતમીના આધારે શહેરની બેડી ચોકડી પાસે સ્વસ્તિક વિલા સોસાયટી શેરી નંબર -1 માં કોર્નર પાસેના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી પોલીસે અલ્પેશ ઉર્ફે ભુરો રમેશભાઈ તન્ના (ઉ.વ.32, રહે. સ્વસ્તીક વીલા સોસાયટી શેરી નં.2 કોર્નર, ભાવનાબેન ચુડાસમાના મકાનમાં ભાડેથી મારૂતી રેસીડેન્સીની બાજુમાં બેડી ચોકડી પાસે,રાજકોટ) અને સફી ગુલામભાઇ પિંજારા (ઉ.વ.20, રહે. રહેમતનગર એરીયા, ચિખોદ્રા, ગોધરા, પંચમહાલ) ને મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બંને શખ્સો પાસેથી 179.24 ગ્રામનો મેફેડ્રોનનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. જેની કિંમત રૂ.5,37,720 થાય છે. આ સાથે જ તેમની પાસેથી ત્રણ મોબાઈલ અને વજન કાંટો તેમજ રૂ.800 ની રોકડ મળી આવી હતી. આ જથ્થો કોની પાસેથી લઈ આવ્યા? , માદક પદાર્થનો જથ્થો કોને વેચતા હતો તે સહિતની બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે.
ઉત્તરાયણના તહેવારને હજુ થોડા દિવસોની વાર છે, પરંતુ તે પહેલા જ સુરતમાં પતંગની કાતિલ દોરીનો કહેર શરૂ થઈ ગયો છે. શહેરમાં વાહનચાલકોના ગળા કપાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં એક 45 વર્ષીય વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. લોહીલુહાણ હાલતમાં બ્રિજ પર જ પડી જતા રાહદારીઓ મદદે આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યો હતો. મજૂરાગેટ બ્રિજ પર અકસ્માત સર્જાયોપ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના અડાજણ ભક્તિધામ સોસાયટીમાં રહેતા પશુપતિસિંહ નામના 45 વર્ષીય વ્યક્તિ મજૂરાગેટ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. તે જ સમયે અચાનક પતંગની ઘાતક દોરી તેમના ગળા પર વાગી હતી, જેના કારણે તેમને ગંભીર ઈજા થઈ હતી. દોરી વાગતાં પશુપતિસિંહ લોહીલુહાણ હાલતમાં બ્રિજ પર જ પડી ગયા હતા. આ બનાવ બનતાં જ અન્ય વાહન ચાલકો અને રાહદારીઓનું ટોળું ઘટનાસ્થળે એકઠું થઈ ગયું હતું. રાહદારીઓએ યુવકને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડ્યો એક રાહદારી યુવકે જણાવ્યું હતું કે, આ વ્યક્તિ મજુરા ગેટના બ્રિજ પર ગળું કપાયેલી હાલતમાં હતા અને ઘણા બધા લોકોનું ટોળું તેમની આજુબાજુમાં જોવા મળ્યું હતું. અમને એવું લાગ્યું કે તેમને ગંભીર ઈજા થઈ છે અને પતંગની દોરીના કારણે તેમનું ગળું કપાયું હતું કે અમે તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા છીએ. પશુપતિસિંહને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના થોડા સમય પહેલા જ આવા કિસ્સાઓ સામે આવતા સ્થાનિકોમાં અને વાહનચાલકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા બ્રિજ પર અત્યારથી જ વાયડ લગાવીને લોકોના ગળા કપાતા અટકાવવામાં આવે તો નિર્દોષ લોકોના જીવ જોખમમાં ન મુકાય.
મધ્યપ્રદેશના કઠીવાડા ખાતે અલીરાજપુર રાજ પરિવારના રાણા દિગ્વિજયસિંહ દ્વારા IPL જેવી જ કઠીવાડા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લીગમાં ખેલાડીઓને IPLની જેમ જ ઓક્શન દ્વારા ખરીદવામાં આવ્યા હતા.આ ટુર્નામેન્ટમાં કુલ ચાર ટીમો – રતનમહલ કાછલા, બાબજી ઉદેપુર, જોહાર ઇલેવન અને શિવભક્ત ઇલેવનએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જોહાર ઇલેવન અને શિવભક્ત ઇલેવન વચ્ચે રમાઈ હતી. આ ફાઇનલ મુકાબલામાં શિવભક્ત ઇલેવને 61 રનથી વિજય મેળવ્યો હતો. શિવભક્ત ઇલેવન દ્વારા ગોધરા શહેરના ઓલરાઉન્ડર ખેલાડી સલીમ મલેકને પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ગોધરાના યુવા ક્રિકેટર સલીમ મલેકે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ફાઇનલ મેચમાં 80 રન બનાવ્યા હતા અને ત્રણ વિકેટ પણ ઝડપી હતી. તેના આ ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ તેને 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. સલીમ મલેકે પોતાની ટીમને જીતાડવાની સાથે ગોધરા શહેરનું ગૌરવ પણ વધાર્યું છે. અલીરાજપુરના SDPOના હસ્તે તેને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 12 કલાકમાં બે અંગદાન થયા છે. વધુ એક સફળ અંગદાન ઓડિશાના વતની પ્રધાન પરિવારે બ્રેઈનડેડ સ્વજનના અંગોનું દાન કરી માનવતા મહેકાવી છે. મૂળ ઓડિશાવાસી અંગદાતાનો પરિવાર ઓડિશા રહેતો હોવાથી નવી સિવિલની ટીમ, SOTTOના સભ્યો, ઓડિશા સમાજ પરિવારના સહકારથી બે દિવસના સતત પ્રયત્નો અને સમજણ બાદ આ પરિવારે પોતાના પ્રિયજનના અંગદાન માટે સહમતિ આપતા બે દિવસમાં કુલ છ દર્દીઓને નવા જીવનની આશા મળી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડના મહત્તમ કિસ્સાઓમાં અંગદાન થઈ રહ્યા છે. ત્યારે આજે મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના બેગુનિયાપાડા ખલીકોટના આમ્બઝર નુઆપલ્લી સ્થિત રહેતા પ્રધાન પરિવારના ૩૯ વર્ષીય બ્રેઈનડેડ પંચુભાઈ કબિરાજના લીવર અને બે કિડનીના દાનથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. નવી સિવિલ હોસ્પિટલથી ૧૨ કલાકમાં બે અંગદાન સાથે આજે ૮૫મુ સફળ અંગદાન થયું છે. મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના બેગુનિયાપાડા ખલીકોટના આમ્બઝર નુઆપલ્લીના વતની અને હાલ કામરેજના પરબગામની શુભ સોસાયટીમાં રહેતા પંચુ પ્રધાન તા.૧૭મી નવેમ્બરના રોજ સવારે ૯.૦૦ વાગ્યે શરીર સંતુલન ગુમાવતા પડી ગયા હતા. સ્થાનિક જાગૃત નાગરિકે કંપનીમાં કામ કરતા સહકર્મચારી સોમનાથભાઈ કોલ કરીને જાણ કરી હતી. સોમનાથભાઇ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ સ્વાસ્થ્યમાં સુધાર ન જણાતા વધુ સારવાર અર્થે ૧૦૮માં સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યા તેમની ગંભીર હાલત હોવાથી ઈમરજન્સી વાર્ડમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર બાદ ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તા.૨૧મી નવેમ્બરના રોજ બપોરે આર.એમ.ઓ ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડો.પ્રયાગ મકવાણા, ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિએ પંચુને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપદાદા દેશમુખના માર્ગદર્શન હેઠળ ઓડિશા સમાજના અગ્રણીઓનો સંપર્ક કરી કાઉન્સેલિંગ સાથે સમજણ આપવાનું નક્કી કરાયું હતું. વિશેષ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે મૃતકના પત્નીની સહમતિ લેવી જરૂરી હોય છે. બ્રેઈનડેડના પત્ની ઓડિશા ખાતે ૧૧ વર્ષીય દિકરી રૂપાલી અને ચાર મહિનાના દિકરા રોશન સાથે રહે છે. જેથી ડો.નિલેશ કાછડિયા, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, ડો.કેતન નાયક તથા ઓડિશા સમાજના અગ્રણી શ્રીકાંત રાઉતે સહિતના અગ્રણીઓએ બ્રેઈનડેડ પંચુભાઈના પત્ની અને ભાઈ સહિત પરિવાર સાથે સતત સંપર્કમાં રહીને અંગદાન બાબતે સમજણ આપી હતી. IEC–SOTTO ઓડિશાના પ્રતિનિધિ સુમને ઓડિશા સ્થિત નિવાસસ્થાને રહેતા પત્ની રજની પંચુ પ્રધાનને ઉડીયા ભાષામાં અંગદાનની સમજણ આપી તેની લેખિત અને વિડીયોગ્રાફી કરી સહમતિ મેળવી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી હતી. અંગદાન પ્રક્રિયામાં જિલ્લા પોલીસનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતુ. જેના કારણે સંપૂર્ણ પ્રક્રિયા ઝડપથી અને સરળતાથી પૂર્ણ થઈ. ઓડિશા સરકાર દ્વારા પણ જરૂરી દસ્તાવેજો માટે સહયોગ મળ્યો હતો. નવી સિવિલના પ્રતિનિધિઓએ બે દિવસ સુધી પરિવાર સાથે કાઉન્સેલિંગ કર્યું. આ ૪૮ કલાકના પ્રયત્નો બાદ પરિવાર સાથે ડો.નિલેશ કાછડિયા, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા અને ઓડિશા સમાજના અગ્રણી શ્રીકાંત રાઉતના પ્રયત્નોથી અંગદાન માટે તૈયાર થયો અને સમંતિ આપતા અંગદાન બાદ લીવર, બે કિડની અમદાવાદની IKDRC હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આમ, માત્ર ૧૨ કલાકમાં બીજું સફળ અંગદાન થવાથી કુલ ૬ દર્દીઓને નવજીવન મળશે. નોંધનીય છે કે, ૧૨ કલાકના સમયગાળામાં બે અંગદાનમાં મહારાષ્ટ્રના થાણે જિલ્લાના માહિમના પાટીલ પરિવાર દ્વારા પણ સ્વજન ૨૮ વર્ષીય બ્રેઈનડેડ સ્વજન અક્ષય વિલાસ પાટીલના લીવર, બે કિડનીના દાન બાદ આજે પંચુ પ્રધાનનું ૮૫મુ અંગદાન થયું છે. સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ, SOTTOના સભ્યો, ઓડિશા સમાજ પરિવારના ટીમવર્ક અને પરસ્પર સહકારને કારણે વધુ ત્રણ પરિવારોમાં નવી રોશની ફેલાઈ છે.
આજના મોંઘાદાટ અને ખર્ચાળ લગ્ન સમારંભો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આર્થિક બોજરૂપ બન્યા છે, ત્યારે સુરતની SVG સંસ્થા અને યુવક મંડળ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ ગરીબ દીકરીઓના પિતા માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ બન્યો છે. આ સુંદર આયોજન દ્વારા સમાજને દેખાદેખીથી દૂર રહીને સાદગીપૂર્ણ લગ્ન જીવન શરૂ કરવા માટેની પ્રેરણા મળી છે. SVG સંસ્થા અને યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં કુલ ૨૫ નવદંપતિઓએ પવિત્ર પ્રભુતામાં પગલાં પાડીને પોતાના નવા દાંપત્ય જીવનનો પ્રારંભ કર્યો હતો. તમામ નવદંપતિઓને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિ આચાર્ય નૂગેન્દ્ર પ્રસાદ મહારાજશ્રીએ રૂબરૂ ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યા હતા, જેનાથી આ ઉત્સવની ગરિમામાં વધારો થયો હતો. મહારાજશ્રીએ પોતાના 'બાઇટ'માં પણ આ ઉત્તમ સેવાકાર્યની નોંધ લીધી હતી. આ પહેલનો મુખ્ય હેતુ લગ્નમાં થતા બિનજરૂરી ખર્ચાઓને અટકાવવાનો અને ગરીબ દીકરીઓના પિતાને આર્થિક ભારણમાંથી મુક્તિ અપાવવાનો છે. સંસ્થાના આ પ્રયાસથી એક સાથે અનેક પરિવારોના માથેથી મોંઘાદાટ લગ્નના ખર્ચનો બોજ હળવો થયો છે. સમૂહ લગ્નથી ગરીબ દીકરીઓના પિતાને આર્થિક ભારણમાંથી મુક્તિ મળે છે અને સાદગીપૂર્ણ લગ્ન સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે. સંસ્થા દ્વારા 25 નવદંપતિઓને તેમના ગૃહસ્થ જીવનની શરૂઆત માટે ઉપયોગી થાય તેવો સુંદર કરિયાવર પણ ભેટમાં આપવામાં આવ્યો હતો. આ ઉત્તમ સેવાકાર્યનો લાભ માત્ર ૨૫ પરિવારોને જ નહીં, પરંતુ લગ્ન પ્રસંગ સાથે સંકળાયેલા ૧૫૦થી વધુ પરિવારોને મળ્યો છે. આ સેવાકાર્ય સાચી સામાજિક સેવા બની રહે અને સમાજમાં દેખાદેખીને બદલે સાદગીપૂર્ણ લગ્નની પ્રેરણા આપે તેવા ઉદ્દેશ્ય સાથે મોટી સંખ્યામાં લોકો આ સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા.
વડોદરા મહાનગરપાલિકાએ શહેરના ટ્રાફિક વ્યવસ્થાપનમાં મોટો ફેરફાર કરતાં મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા કુલ 70 જંક્શન પરના ટ્રાફિક સિગ્નલને હવે 24 કલાક કાર્યરત કરી દીધા છે. આ નિર્ણય વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સૂચનાથી લેવામાં આવ્યો છે. 24 કલાક સિગ્નલ ચાલુ રાખવાથી નાગરિકોને સલામત મુસાફરીની સુવિધા મળશેઅત્યાર સુધી રાત્રે ટ્રાફિક સિગ્નલ બંધ રહેતાં જંક્શનો પર વાહનચાલકો મનસ્વી રીતે વાહન ચલાવતા હોવાથી રાત્રીના સમયે ગંભીર અકસ્માતો તેમજ ટ્રાફિકજામની સમસ્યા વકરી રહી હતી. આની સીધી અસર ઇંધણનો વ્યય વધવા તેમજ વાયુ પ્રદૂષણમાં વધારો થવા જેવી બની હતી. 24 કલાક સિગ્નલ ચાલુ રાખવાથી આ તમામ સમસ્યાઓ પર અસરકારક નિયંત્રણ આવશે અને નાગરિકોને સલામત મુસાફરીની સુવિધા મળશે. આ નિર્ણયથી વડોદરાવાસીઓને રાહતઆ ઉપરાંત, ટ્રાફિકના ભારણવાળા વધારાના અંદાજે 10 મહત્વના જંક્શનો પર નવીન ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ સ્થાપવાનું આયોજન પણ મહાનગરપાલિકાએ તૈયાર કર્યું છે. આ નવા સિગ્નલ વૈજ્ઞાનિક પદ્ધતિથી નિયંત્રિત થશે, જેથી વાહનોને બિનજરૂરી રીતે ઊભા રહેવું ન પડે અને વાયુ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. આ યોજના હેઠળ કામગીરી ટૂંક સમયમાં જ શરૂ કરી દેવામાં આવશે. શહેરને વધુ આધુનિક, સ્માર્ટ અને સલામત બનાવવાના હેતુથી લેવાયેલા આ નિર્ણયથી વડોદરાવાસીઓને રાત-દિવસ સુવ્યવસ્થિત અને ઝડપી ટ્રાફિકનો લાભ મળશે.
વલસાડ જિલ્લાના વાપીમાં ડુંગરા પોલીસે કરમખલ વિસ્તારમાં આવેલી એક વાડીના મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. પોલીસે મુખ્ય આરોપી સહિત ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે અને ચોરીનો મોટાભાગનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ ચોરી 15 નવેમ્બરથી 16 નવેમ્બર, 2025 દરમિયાન થઈ હતી. અજાણ્યા ચોરોએ વાડીના મકાનનું તાળું તોડી LG કંપનીનું ટીવી (રૂ. 10,000), MI કંપનીનું ટીવી (રૂ. 13,000), RR કંપનીનો 90 મીટર વાયર (રૂ. 2,200) અને આશરે 60 ફૂટ કેબલ (રૂ. 3,200) સહિત કુલ રૂ. 28,400ની મત્તાની ચોરી કરી હતી. આ બનાવ અંગે ડુંગરા પોલીસ મથકે BNSની કલમ 331(2), 331(4) અને 305(એ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વલસાડ SP યુવરાજસિંહ જાડેજા અને વાપી DySP બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ PI એસ.પી. ગોહિલે વિશેષ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, હેડ કોન્સ્ટેબલ ભરતભાઈને મળેલી બાતમીના આધારે પોલીસે મુખ્ય આરોપી ચંદ્રશેખર લાલબહાદુર પટેલ (ઉંમર 19) અને કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ કિશોરોને લવાછા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરાયેલા બંને ટીવી સહિત કુલ રૂ. 23,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકાર સામે શૈક્ષિક સંઘે દિલ્હીમાં આંદોલનની જાહેરાત કરી છે. ટેટ પરીક્ષા અને જૂની પેન્શન યોજનાને લઈને શિક્ષકો દિલ્હીમાં ધરણા કરવાના છે. દિલ્હીમાં જંતર મંતર સામે ધરણા પ્રદર્શન કરીને શિક્ષકો સરકાર પાસે 2005 પછીના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે તે માટેની માંગ કરવાના છે. જેના માટે તમામ રાજ્યમાંથી શિક્ષકો દિલ્હીમાં જંતર મંતર ખાતે ભેગા થઈને વિરોધ નોંધાવશે. તેમજ ગુજરાતમાંથી પણ બે હજાર જેટલા શિક્ષકો દિલ્હી જંતર મંતર ખાતે ધરણા કરવાના છે. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગસપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં રાજ્યભરમાં શિક્ષકોએ જિલ્લા કક્ષાએ અનેક વખત આવેદન આપ્યા હતા. જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે તેવી સરકાર પાસે અનેક વખત માંગ કરવામાં આવી હતી. પરંતુ સરકારે માંગણીઓ ના સ્વીકારતા હવે સરકાર સામે બાયો ચડાવી દીધી છે. ગુજરાતમાં કાર્યક્રમ યોજ્યા બાદ હવે શિક્ષકો દિલ્હીમાં ધામા નાખશે. કેન્દ્ર સરકાર સુધી પોતાનો અવાજ અને રજૂઆત પહોચાડવા માટે મોટી સંખ્યામાં શિક્ષકો જંતર મંતર પર ધરણા પ્રદર્શન કરવાના છે. રાષ્ટ્ર વ્યાપી આંદોલનમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સહિત રાજ્યમાં તમામ શૈક્ષિક સંઘ પણ જોડાવાના છે. 2010 પહેલાના તમામ શિક્ષકો માટે ટેટ પાસ કરવી ફરજિયાત કરાતા વિરોધટેટ પરીક્ષા પર સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. તેમાં 2010 પહેલા નિમણૂક પામેલા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવી હતી જે સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. જેના કારણે 2010 પહેલાના તમામ શિક્ષકોને ટેટ પાસ કરવાની ફરજ પડશે. તેમજ તેમને પગાર ધોરણ પણ મળશે નહીં. જેને લઈને આવતીકાલે શિક્ષકો જંતર મંતર ધરણા પ્રદર્શન કરી વિરોધ દર્શાવશે.
દાહોદ જિલ્લામાં આંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોને જોડતા રસ્તાઓના ઝડપી નવીનીકરણનું કાર્ય શરૂ થયું છે. આ અંતર્ગત ઝાલોદ વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશ ભુરિયાના હસ્તે લીમડી તાલુકામાં રિસર્ફેસિંગ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના નાગરિકોને સલામત, સુગમ અને સમયબદ્ધ વાહન વ્યવહાર મળી રહે તે માટે ગ્રામ્ય તેમજ આંતરિયાળ વિસ્તારોના રસ્તાઓનું રિસર્ફેસિંગ અને દુરસ્તીકરણનું કામ ઝડપભેર હાથ ધરાયું છે. તાજેતરમાં પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા આયોજન અને સંકલન સમિતિની બેઠકમાં રસ્તાઓના નવીનીકરણ અંગે તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના પરિણામે પંચાયત માર્ગ અને મકાન વિભાગ, દાહોદ દ્વારા વિવિધ સ્થળોએ રોડ સુધારણા કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. લીમડી તાલુકાના વિવિધ ગામોને જોડતા મંજૂર રિસર્ફેસિંગ રસ્તાઓના ખાતમુહૂર્તથી આ વિસ્તારના ખેડૂતો, વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને મુસાફરીમાં મોટી રાહત મળશે. આ કામગીરીથી આવન-જાવન વધુ સુરક્ષિત અને ઝડપી બનશે.આ કામગીરી સરકારની ગ્રામીણ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત અને ટકાઉ રસ્તા પૂરા પાડવાની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે, જેનાથી દાહોદ જિલ્લાના સર્વાંગી વિકાસને વધુ વેગ મળશે.
પાટણમાં હરીઓમ ગૌ શાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે 1 થી 7 ડિસેમ્બર દરમિયાન શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના વક્તા સુપ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝા રહેશે. પાટણના અનાવાડા સ્થિત હરીઓમ ગૌ શાળાના વિશાળ સંકુલમાં 15,000 શ્રોતાઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કથાનો શુભારંભ 51 વાલ્મિકી સમાજની દીકરીઓના પગલાં પાડીને કરવામાં આવશે. આયોજકો દ્વારા શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પાટણના જીમખાનાથી કથા સ્થળ સુધી પહોંચવા માટે વિનામૂલ્યે વાહનોની સુવિધા ઉપલબ્ધ રહેશે. દરરોજ 50,000 ભાવિકો માટે શુદ્ધ ગાયના ઘીમાંથી બનેલા સ્વાદિષ્ટ ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. કથાના શુભારંભ પૂર્વે 29 નવેમ્બર, શનિવારના રોજ ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરાયું છે. મુખ્ય દાતાઓના નિવાસસ્થાને પોથી પૂજન બાદ, પાટણ રેલવે સ્ટેશનથી બપોરે 1:00 કલાકે હાથીની અંબાડી પર મુખ્ય પોથી સાથે યાત્રા પ્રસ્થાન કરશે. આ યાત્રા વાજતે ગાજતે અનાવાડા કથા સ્થળે પહોંચશે. યાત્રાના માર્ગમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણી, એનર્જી ડ્રિંક અને પ્રસાદના વિતરણ માટે સેવા કેમ્પો ગોઠવવામાં આવશે. આ પોથીયાત્રામાં મુખ્ય પોથી ઉપરાંત 108 પોથી યજમાન પરિવારો પણ જોડાશે. 108 કળશધારી બાલિકાઓ અને 1008 તુલસીના છોડ સાથે બહેનો પણ યાત્રામાં સહભાગી થશે. વિવિધ શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના ટેબ્લો પણ આ યાત્રામાં જોડાશે. આ ઉપરાંત, અનેક સંતો-મહંતો બગી ગાડીમાં બિરાજમાન થઈ ભાવિક ભક્તોને દર્શનનો લાભ આપશે. આયોજકોએ પાટણ શહેર અને જિલ્લાના ધર્મપ્રેમી જનતાને મોટી સંખ્યામાં જોડાવા માટે જાહેર આમંત્રણ પાઠવ્યું છે. આ પ્રસંગે હવામાં ઉડતું સુદર્શન ચક્ર યાત્રા ઉપર પુષ્પવૃષ્ટિ કરીને વાતાવરણને ખુબ જ પ્રભાવીત કરશે તે ઉપરાંત સમગ્ર ભારતમાં કદાચ સૌથી પહેલા ગૌશાળાની પૂણ્ય ભૂમિ ઉપર સુરભી ગૌ મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એમ કહેવાય છે કે, આવો સુરભી યજ્ઞ દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ આશરે 5500 વર્ષ પૂર્વે દ્વારીકા નગરીમાં કર્યો હતો. આમ, અણહિલવાડ પાટણના સરસ્વતીના કિનારે આ જ્ઞાનયજ્ઞની અંદર આ સુરભી ગૌ મહાયજ્ઞનું એક વિશેષ મહત્ત્વ છે અને 5500 વર્ષ પછી સૌ પ્રથમ આ મહાયજ્ઞ પાટણના આંગણે યોજાવવાનો છે
ગોધરામાં ભુરા મોટર્સ માલિક સામે વિશ્વાસઘાતનો ગુનો:પીકઅપ ગાડી સર્વિસના બહાને ચોરીની ફરિયાદ
ગોધરાના બહારપુરા સ્મશાન રોડ પર રહેતા મુકેશભાઈ મંગળભાઈ ચૌહાણે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ગોધરા-વડોદરા હાઈવે પર આવેલા ગોન્દ્રા ખાતેની ભુરા મોટર્સના માલિક મોહમ્મદ વસીમ કંસારા ઉર્ફે ભુરિયા વિરુદ્ધ વિશ્વાસઘાત અને વાહન ચોરીનો આરોપ લગાવ્યો છે. ફરિયાદી મુકેશભાઈ ચૌહાણના જણાવ્યા અનુસાર, 10 ડિસેમ્બર, 2023ના રોજ સવારે દસ વાગ્યાની આસપાસ તેઓ પોતાની પીકઅપ ગાડી (રજી. નં. GJ.17.TT.8547) સર્વિસ કરાવવા માટે ભુરા મોટર્સ પર ગયા હતા. ત્યાં મોહમ્મદ વસીમ કંસારાએ તેમને ગાડી ત્યાં મૂકીને બે દિવસ પછી આવવાનું કહ્યું હતું. બે દિવસ પછી જ્યારે મુકેશભાઈ ગાડી લેવા ગયા, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે એન્જિનમાં ખામી છે અને તેને ફરીથી ખોલવું પડશે. ત્યારબાદ ડીઝલ લાવવાનું કહેતા મુકેશભાઈ ડીઝલ લઈને ગયા, પરંતુ ગાડી ચાલુ થઈ નહીં. મોહમ્મદ વસીમ કંસારાએ ગાડીના સ્પેરપાર્ટ્સ બહારથી મંગાવવા પડશે તેમ કહી ₹35,000ની માંગણી કરી હતી, જે મુકેશભાઈએ ચૂકવી દીધા હતા. પૈસા આપ્યા પછી પણ ગાડીનું કામ થયું ન હતું. મુકેશભાઈએ વારંવાર ફોન કરીને અને રૂબરૂ જઈને પૂછપરછ કરી, ત્યારે દર વખતે સ્પેરપાર્ટ્સ આવ્યા નથી અથવા ડીઝલ લઈને આવો તેવા બહાના બનાવવામાં આવતા હતા. આશરે એક વર્ષ પછી મુકેશભાઈને મોહમ્મદ વસીમ કંસારા રસ્તામાં મળ્યા ત્યારે તેમણે ગાડી પરત આપવા કહ્યું, પરંતુ ફરીથી બહાના બનાવવામાં આવ્યા. આશરે બે વર્ષ પછી જ્યારે મુકેશભાઈએ ફરીથી પોતાની ગાડી વિશે પૂછ્યું, ત્યારે મોહમ્મદ વસીમ કંસારાએ જણાવ્યું કે તેમની ગાડી ત્યાં નથી અને તે ચોરાઈ ગઈ છે. આમ, ₹35,000 લીધા પછી પણ ગાડી પરત ન આપીને અને ગાડી ચોરાઈ ગઈ હોવાનું કહીને મોહમ્મદ વસીમ કંસારાએ વિશ્વાસઘાત કર્યો હોવાનો આરોપ મુકેશભાઈએ લગાવ્યો છે. ગોધરા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
નવસારીના ઉંડાચ ગામેથી ચોરાયેલું આશરે 800 વર્ષ જૂનું શિવલિંગ મળી આવ્યું છે. નીલકંઠ મહાદેવ મંદિર પરિસરમાં પીપળાના ઝાડ નીચે સ્થાપિત આ શિવલિંગની ચોરી થઈ હતી. શુક્રવારે મોડી રાત્રે બીલીમોરાના એક યુવાન ડિપ્રેશનમાં હોવાથી શિવલિંગ પોતાની સાથે લઈ ગયો હતો. શનિવારે સવારે શિવલિંગ ચોરાયાની વાત પ્રસરતા યુવાનના પરિવારે ગ્રામજનોની માફી માંગી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા યુવાનની માનસિક સ્થિતિ જાણ્યા બાદ પોલીસ ફરિયાદ કરવાનું ટાળવામાં આવ્યું હતું. યુવાને શિવલિંગને પોતાના ઘરના મંદિરમાં મૂકી પૂજા કરી હતી. ગ્રામજનોએ પરિવારની વિનંતીને માન્ય રાખી યુવાનને માફ કર્યો છે. હવે નીલકંઠ મહાદેવ મંદિર પરિસરમાં પીપળાના ઝાડ નીચે ફરી શિવલિંગની વિધિવત સ્થાપના કરવામાં આવશે. સોમવારે ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે ભગવાન મહાદેવના શિવલિંગની સ્થાપના કરશે.
સાદિક ઉર્ફે બચી ભીસ્તી PASA હેઠળ ઝડપાયો:ગોધરા પોલીસે લીલેસરા ચોકડી પાસેથી ધરપકડ કરી
ગોધરા બી ડિવિઝન પોલીસે પાસા હેઠળ વોન્ટેડ આરોપી સાદિક ઉર્ફે બચી મોહમંદ હનીફ ભીસ્તીને લીલેસરા ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે. આ આરોપી ઘરફોડ ચોરીઓ, મંદિરો, સરકારી શાળાઓ, દુકાનો તેમજ સરકારી-ખાનગી આવાસોમાં તોડફોડ અને ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આવી ગુનાહિત પ્રવૃત્તિઓ વધી હતી. થોડા સમય પહેલા ભામૈયા ગામના શિવમંદિરમાંથી થયેલી ચોરીનો ગુનો પણ ચર્ચામાં રહ્યો હતો. આ તમામ ગુનાઓમાં સંડોવાયેલા અને જાહેર સ્થળોના દરવાજા તથા તાળા તોડી ચોરી કરવાની ટેવ ધરાવતા સાદિક ભીસ્તી વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી મંજૂર કરવામાં આવી હતી. ડિ-સ્ટાફના એએસઆઇ અરવિંદભાઈ સડીયાભાઈ બર્મન તથા હેડકોન્સ્ટેબલ કમલેશકુમાર ગોપાલસિંહને ગુપ્ત બાતમી મળી હતી કે આરોપી ગોધરાની લીલેસરા ચોકડી પાસે જોવા મળ્યો છે. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો. અવારનવાર ચોરીઓ તથા તોડફોડના ગુનાઓ કરતી વૃત્તિને કારણે તેના વિરુદ્ધ મંજૂર થયેલ પાસા પ્રમાણે કાયદેસરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોધરા બી ડિવિઝન પોલીસની આ કામગીરીએ વિસ્તારમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવાની દિશામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. નંદાપુરા બ્રિજ પાસે અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકનું મોતઅન્ય એક ઘટનામાં, ગોધરા તાલુકાના નંદાપુરા બ્રિજ પાસે અજાણ્યા વાહનની અડફેટે મોપેડ ચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. દાહોદ જિલ્લાના ઝરીખુર્દ ગામે રહેતા 28 વર્ષીય પ્રવિણસિંહ ફતેસિંહ પરમારનું આ અકસ્માતમાં મોત થયું છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત તા 21 નવેમ્બરના રોજ પ્રવિણસિંહ પોતાનું મોપેડ વાહન લઈને દાહોદથી ગોધરા તરફ આવી રહ્યા હતા. ગોધરા તાલુકાના નંદાપુરા ઓવરબ્રિજ નજીક પ્રવિણ પરમારે પોતાનું વાહન પૂરઝડપે હંકારતા કાબુ ગુમાવી દીધો હતો, જે બાદ મોપેડ આગળ જઈ રહેલા અજાણ્યા વાહન પાછળ ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં પ્રવીણ પરમારને ગંભીર ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ થયું હતું. દાહોદ જિલ્લાના ગોપાલભાઈ મંગળાભાઈ પરમારે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે અકસ્માતની વધુ તપાસ હાથ ધરી છે. ગઢ ચુંદડી ગામે એક મહિલા પર હુમલોગોધરા તાલુકાના ગઢ ચુંદડી ગામે એક મહિલા પર હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. વહુના પિયર પક્ષના ચાર લોકોએ ઘરમાં ઘુસીને મારપીટ કરી અને ધમકીઓ આપી હોવાનો આક્ષેપ છે. ગઢ ચુંદડી ગામમાં રહેતા લીલાબેન શનાભાઈ પટેલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, લીલાબેનના નાના પુત્ર રાજુભાઈએ છ મહિના પહેલા ડાંગરીયા ગામની ક્રિષ્નાબેન રાજેન્દ્રભાઈ બારીઆ સાથે કોર્ટ મેરેજ કર્યું હતું. લગ્ન બાદ દંપતી ક્યાં રહે છે તે અંગે બંને પરિવારોને માહિતી નથી. ગત 11 નવેમ્બરના રોજ રાત્રે લીલાબેન ઘરમાં એકલી હતી ત્યારે તેમની વહુના પિયર પક્ષના રાજેન્દ્રભાઈ મોહનભાઈ બારીઆ, તેમના પુત્ર નિપુલભાઈ, પત્ની સુશીલાબેન અને ભાભી સપનાબેન ઘર બહાર અપશબ્દો બોલવા લાગ્યા હતા. બાદમાં રાજેન્દ્રભાઈએ ઘરમાં ઘુસીને દીકરા રાજુભાઈ તથા પોતાની દીકરી ક્રિષ્ના ક્યાં છે તે અંગે ઉશ્કેરાયેલી ભાષામાં પૂછપરછ કરી હતી. લીલાબેન દ્વારા મને જાણ નથી કહેતાં જ રાજેન્દ્રભાઈએ તેમને ગડદાપાટાનો માર મારી વાળ પકડી બહાર ઘસેડી લાવ્યા હતા. આ દરમિયાન નિપુલભાઈ ઘરની છત પર ચઢીને નળીયા નીચે ફેંકવા લાગ્યા હતા, જ્યારે સુશીલાબેન અને સપનાબેને ઘરના આંગણામાં પડેલા ડાંગરના પુળા ઘરમાં ફેંકીને તમારું ઘર સળગાવી દઈશું તેવી ધમકીઓ આપી હતી. લીલાબેનની બૂમાબૂમ સાંભળી પાડોશી કમલેશભાઈ મનુભાઈ, અંબાબેન મનુભાઈ, પનાબેન કિરીટભાઈ તેમજ ગામ આગેવાન મનોજભાઈ જસવંતભાઈ પટેલ દોડી આવ્યા હતા અને તેમને વધુ મારથી બચાવ્યા હતા. હુમલા બાદ લીલાબેનને ઈજાઓ થતાં તેમના જમાઈ મૌલીકભાઈએ તેમને ચંચેલાવ ગામે સારવાર માટે લઈ ગયા હતા. આરોપીઓ અને ફરિયાદી એક જ સમાજના હોવાને કારણે સમાજ આગેવાનો દ્વારા સમાધાનની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ આરોપીઓ સમાધાન માટે તૈયાર ન થયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. લીલાબેનનો આક્ષેપ છે કે આરોપીઓ લાંબા સમયથી તમારો દીકરો હાથમાં મળે તો મારી નાખીશું તેવી ધમકીઓ આપતા હતા. લીલાબેન અને તેમના પતિ શનાભાઈ પટેલે આરોપીઓ રાજેન્દ્રભાઈ મોહનભાઈ બારીઆ, નિપુલભાઈ રાજેન્દ્રભાઈ બારીઆ, સુશીલાબેન રાજેન્દ્રભાઈ અને સપનાબેન નિપુલભાઈ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી માટે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા જિલ્લા પોલીસ દ્વારા 100 કલાકની સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ દરમિયાન 550થી વધુ આરોપીઓને શોધવામાં આવ્યા છે અને 150થી વધુ આરોપીઓના ડોઝીયર્સ તૈયાર કરવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડા દ્વારા તા.17/11/2025ના રોજ ગુજરાત રાજયમાં છેલ્લા ૩૦ વર્ષમાં (1) હથિયાર ધારા (2) એન.ડી.પી.એસ. એકટ (3) એકસપ્લોઝીવ એકટ (4) બનાવટી ચલણી નોટો (5) ટાડા પોટા તથા મકોકા તેમજ યુ.એ.પી.એ. (6) પેટ્રોલીયમ ધારા જેવા વિવિધ કાયદાના ગુનાઓમાં પકડાયેલા આરોપીઓને શોધી તેમની હાલની પ્રવૃતિઓની ચકાસણી કરીને ડોઝીયર્સ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી. આરોપીઓની વિવિધ માહીતી જેવી કે, તેમના પરિવારની, મિત્રોની, સગા સબંધીઓની, મિલ્કતોની, સંપર્કોની માહીતી એકઠી કરી ડોઝીયર્સ ફોર્મ તૈયાર કરવા સુચના આપી હતી, જેના આધારે વડોદરા રેન્જ આઈજી સંદિપસિંહે વડોદરા જીલ્લામાં 100 કલાકની સમય મર્યાદાની અંદર ઉપરોકત ગુનાઓના છેલ્લા 30 વર્ષમાં પકડાયેલા આરોપીઓને ટ્રેસ કરી જરૂરી કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. રેન્જની આઇજીની સૂચનાના આધારે વડોદરા જિલ્લા પોલીસ વડા સુશિલ અગ્રવાલ દ્વારા પોલીસ અધિકારી અને કર્મચારીઓની ટીમો તથા જીલ્લાના 14 પોલીસ સ્ટેશન, એલ.સી.બી. તેમજ એસ.ઓ.જી. દ્વારા પણ વિવિધ ટીમો બનાવી વડોદરા ગ્રામ્ય જીલ્લા ખાતે ઉપરોકત ગુનાઓના આરોપીઓની યાદી તૈયાર કરતા 550થી વધુ આરોપીઓની વિગતો મળેલ અને ઉપરોકત વિવિધ ટીમો દ્રારા અલગ-અલગ સ્થળોએ કોમ્બીંગ હાથ ધરી તેમને ટ્રેસ કરી વેરીફીકેશન કરતા 200થી વધુ આરોપીઓ 100 કલાકની કોમ્બીંગની કામગીરી દરમ્યાન ટ્રેસ કરવામાં આવ્યા હતા. તે પૈકી ઝીણવટીભરી રીતે તપાસ કરતા 30થી વધુ આરોપીઓ મરણ ગયેલ હોવાનું જણાઇ આવ્યું હતું, જેઓના મરણના પુરાવા એકત્રીત કરવામાં આવ્યા હતા તેમજ 2 આરોપીઓ હાલમાં જેલમાં હોવાનુ જણાઇ આવ્યું હતું, તેઓની જેલની પ્રવૃત્તિ બાબતે વોચ તપાસ રાખવામાં આવી છે. કોમ્બીંગ દરમ્યાન 150થી વધુ આરોપીઓ હાજર મળી આવતા તેમની હાલની પ્રવૃત્તિ તેમજ ગુનાહીત પ્રવૃત્તિની ચકાસણી કરવામાં આવી હતી. તેઓની વિવિધ માહીતી જેવી કે, તેમના પરિવારની, મિત્રોની, સગા સબંધીઓની, મિલ્કતોની, સંપર્કોની તેમજ તેઓની હાલની પ્રવૃત્તિની વિગતો એકઠી કરી ડોઝીયર્સ ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે તેમજ આ આરોપીઓના બીજા કોઇ ગુનાહિત ઇતિહાસ તેમજ ગુનાહિત પ્રવૃતિ બાબતે તથા સમગ્ર દેશમાં કોઇપણ જગ્યાએ ગુનો આચરેલ હોય તે બાબતોની ચકાસણી માટે ICJS પોર્ટલ, e-GujCop, NAFIS પોર્ટલ વિગેરેનો ઉપયોગ કરી જરૂરી માહિતી એકઠી કરવામાં આવી છે આ આરોપીઓની શોધખોળ માટે વિવિધ વિસ્તારોમાં કોમ્બીંગ દરમ્યાન સી.સી.ટી.વી. જાહેરનામા ભંગના-6 કેસ, મકાન ભાડુઆત જાહેરનામા ભંગના-5 કેસ, સીક્યુરીટી ગાર્ડ જાહેરનામા ભંગના-1 કેસ, મજુર જાહેરનામા ભંગના-1 કેસ મળી કુલ-13 જાહેરનામા ભંગના કેસ દાખલ કરવામાં આવ્યા છે તથા એમ.વી. એક્ટ 207 મુજબ-94 વાહન ડીટેઇન કરવામાં આવ્યા છે.
ભરૂચના યુવકનું અપહરણ કરનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે ગુનામાં વપરાયેલી આરોપી આફતાબની કાર, સસ્પેન્ડેડ આરોપી પોલીસકર્મી યાજ્ઞિક ચાવડાની એક્ટિવા અને આફતાબના ઘરેથી રૂ.1 લાખ રિકવર કર્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના શેરપુરા રોડ પર આવેલી મદીના પાર્ક સોસાયટીમાં રહેતા અફાન ઉસ્માન કાનીનું ત્રણ જણાએ અમદાવાદ એસઓજી પોલીસ હોવાની ઓળખ આપી યુવકની મહિલા મિત્રને અન્ય કારમાં અપહરણ કરી લઇ ગયાં હતા, ત્યારબાદ 50 લાખની માગણી કરી હતી. 50 લાખ આપવા પડશે, નહી તો તારા પર ખોટા કેસ કરી ફસાવી દઇશુ તેવી ધમકી આપી હતી. યુવકની પાસેથી સાડા ચાર લાખ રૂપિયા બળજબરીથી પડાવી લીધા હતા. જેમાં પોલીસ દ્વારા પોલીસે સેન્ટ્રલ જેલમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા યાજ્ઞિક ચાવડા અને કે. ડી. કુંભાર તેમજ આફતાબ પઠાણ અને અન્ય એક મળી સહિત ચાર લોકો સામે અપહરણ તથા ખંડણીનો ગુનો દાખલ કર્યો હતો. જેમાં ડીસીપી ઝોન -3 અભિષેક ગુપ્તા દ્વારા અલગ અલગ ટીમો બાવીને અપહરણ કારો પાકીને બે આરોપી યાજ્ઞિક ચાવડા તથા આફતાબ નઇમખાન પઠાણ ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે કાના દાના કુંભાર સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની અલગ અલગ ટીમો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસે જે યુવતી ભરુચના યુવક સાથે કારમાં હતી અને તેને અન્ય કારમાં અપહરણકારો બેસાડી લઇને તેનું અપહરણ કરી લઇ ગયાં હતા. તે યુવતી પણ પોલીસ સમક્ષ હાજર થઇ ન હતી. જેથી પોલીસે આ યુવતીને નોટિસ આપીને તેને બોલાવવામાં આવી છે, જોકે યુવતી હજી સુધી આવી નથી. બીજી તરફ જે પોલીસ લાઇનની સામે જે વ્યક્તિને રૂપિયા આપ્યાં હતા તેને નિવેદન માટો પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યો છે. આ દરમિયાન પોલીસે ગુનામાં વપરાયેલી આફતાબની કાર તથા યાક્ષિક ચાવડાની એક્ટિવા કબજે કરી છે. આ ઉપરાંત ભરુચના યુવક પાસેથી પડાવેલા એક લાખ રૂપિયા આફતાબે તેના ઘરે રાખ્યાં હતા, તે પણ પોલીસે કબજે કર્યા છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી કાર પણ જપ્ત કરી છે.
ડાંગ જિલ્લા પોલીસે આંતરરાજ્ય સાયબર ફ્રોડના એક ગંભીર કેસમાં મોટી સફળતા મેળવી છે. ડાંગ સાયબર ક્રાઇમ પોલીસે ગાંધીનગર સ્થિત માઇક્રો ટેક્નોલોજી કંપનીના માલિક રાજેશકુમાર રામચરિત્ર સિંઘને ઝડપી પાડ્યો છે. આરોપી 14 જેટલા સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલો હતો. ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન તેણે અન્ય ગુનાઓની પણ કબૂલાત કરી છે, જેનાથી તપાસનો વ્યાપ વધ્યો છે. આ કેસ ડાંગ જિલ્લાના ચિરાપાડા ગામના એક વ્યક્તિની ફરિયાદ પરથી શરૂ થયો હતો. પીડિતને શેરબજારમાં રોકાણ કરાવી ઊંચા નફાની લાલચ આપી છેતરવામાં આવ્યો હતો. આરોપીઓએ હાઈ-પ્રોફાઇલ ટ્રેડિંગ પ્લેટફોર્મ અને નફાના ખોટા દાવાઓ બતાવી પીડિત પાસેથી ₹1.70 લાખ જેટલી રકમ પડાવી હતી.ફરિયાદ મળ્યા બાદ ડાંગ સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સોર્સ, ડિજિટલ પુરાવા અને બેંક ટ્રાન્સફર ટ્રેઇલના આધારે તપાસ શરૂ કરી હતી. કંપનીનો માલિક જ ખાતા ઓપરેટ કરતોતપાસ દરમિયાન જાણવા મળ્યું કે 14 જેટલા સાયબર ગુનાઓમાં ઉપયોગમાં લેવાયેલા બેંક ઓફ બરોડાના ખાતા માઈક્રો ટેક્નોલોજી કંપનીના માલિક રાજેશકુમાર સિંઘના નામે હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વર્ષોથી વિવિધ રાજ્યોમાં ઓનલાઈન શેરબજાર, ક્રિપ્ટો ટ્રેડિંગ અને રોકાણના નામે લોકો સાથે છેતરપિંડી કરતો હતો. ડાંગ પોલીસે તેની ટેકનિકલ કુશળતાનો ઉપયોગ કરીને આરોપીને ગાંધીનગરમાંથી ઝડપી પાડ્યો. પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યોરિમાન્ડ દરમિયાન સાયબર ક્રાઇમ ટીમે આરોપી પાસેથી મોબાઈલ ફોન, બેંક ખાતાની વિગતો, ડિજિટલ વોલેટ અને અન્ય ડિવાઇસ સહિતના ટેકનિકલ પુરાવા જપ્ત કર્યા છે. આ પુરાવાઓના આધારે વધુ વિગતો બહાર લાવવામાં આવી રહી છે. તપાસમાં આરોપી સામે અન્ય રાજ્યોમાં પણ સમાન પ્રકારના ગુનાઓ નોંધાયા હોવાની શક્યતા છે. લોકોને સજાગ રહેવા પોલીસની અપીલડાંગ પોલીસે નાગરિકોને ઓનલાઈન રોકાણ, શેરબજાર કે ઊંચા નફાના વાયદા કરતી અજાણી લિંક્સ અને કોલથી સાવચેત રહેવા અપીલ કરી છે. સાયબર ફ્રોડ સામે ડાંગ પોલીસની આ કાર્યવાહીને સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે.
મોડાસા પાસેના દોલપુર ગામ નજીક આજે સાંજે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, એક કાર ચાલક પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારી રહ્યો હતો. તેણે સામેથી આવતી બાઇકને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર બાઇકને અડફેટે લીધા બાદ રોંગ સાઇડમાં ઝાડીઓમાં ઉતરી ગઈ હતી. મૃતક બાઇક ચાલક મેઘરજના પહાડિયા ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મોડાસા-મેઘરજ માર્ગ નવો બન્યો છે, પરંતુ ગામો પાસેથી પસાર થતા રસ્તા પર સ્પીડબ્રેકર કે બમ્પ ન હોવાને કારણે આવા અકસ્માતો વારંવાર બનતા રહે છે. આ ઘટના બાદ દોલપુર ગામના સ્થાનિકો દ્વારા રોડ પર સ્પીડબ્રેકર બનાવવાની તાત્કાલિક માંગ કરવામાં આવી છે.
પંચમહાલ પોલીસે IGP કપ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતી:ફાઇનલમાં દાહોદ કલેક્ટર ટીમને 64 રનથી હરાવી
ગોધરાના રાજ્ય અનામત પોલીસ દળ (SRP) જૂથ–5 ખાતે આયોજિત IGP કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ સમાપન થયું છે. 23 નવેમ્બરે રમાયેલી ફાઇનલ મેચમાં પંચમહાલ પોલીસની ટીમે દાહોદ જિલ્લા કલેક્ટરની ટીમને 64 રનથી હરાવી વિજય મેળવ્યો હતો. આ ટુર્નામેન્ટ 5 નવેમ્બરથી શરૂ થઈ હતી. તેમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લા પોલીસની ટીમો તેમજ દાહોદ જિલ્લા કલેક્ટરની ટીમ સહિત કુલ પાંચ ટીમોએ ભાગ લીધો હતો. આયોજનનો મુખ્ય હેતુ વહીવટી તંત્ર અને કાયદા વ્યવસ્થાની વિવિધ શાખાઓ વચ્ચે સંકલન, સૌહાર્દ અને ખેલદિલી વધારવાનો હતો. ગોધરા રેન્જના IGP રાજેન્દ્ર અસારીના માર્ગદર્શન હેઠળ આ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ. દરેક ટીમે લીગ રાઉન્ડમાં ચાર મુકાબલા રમ્યા હતા. ફાઇનલ મુકાબલો પંચમહાલ પોલીસ અને દાહોદ જિલ્લા કલેક્ટરની ટીમ વચ્ચે યોજાયો હતો. ટોસ જીતીને પંચમહાલ પોલીસે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને નિર્ધારિત 20 ઓવરમાં 150 રનનો સ્કોર બનાવ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દાહોદ જિલ્લા કલેક્ટરની ટીમ 86 રન જ બનાવી શકી, જેથી પંચમહાલ પોલીસની ટીમે 64 રનથી જીત મેળવી. આ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં અધિકારીઓ અને પોલીસકર્મીઓ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. SRP જૂથ–5ના અધિકારીઓ, ગોધરા રેન્જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમોએ આયોજન અને વ્યવસ્થાપનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. IGP રાજેન્દ્ર અસારીનો આ પ્રયાસ ખેલભાવના અને પરસ્પર સુમેળ વધારવામાં મદદરૂપ થયો.
ધી ગુજરાત સચિવાલય સેક્શન અધિકારી એસોસિએશનએ સચિવાલયમાં સેક્શન અધિકારી, વર્ગ-2ની મોટી સંખ્યામાં ખાલી રહેલી જગ્યાઓ તાત્કાલિક ફિડર કેડરના નાયબ સેક્શન અધિકારીઓ ભરવા રાજ્ય સરકારને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવને વિસ્તૃત લેખિત રજૂઆત કરવામાં આવી છે. 231 જગ્યા એટલે કે 38 ટકા લાંબા સમયથી ખાલીરજુઆતમાં જણાવ્યા મુજબ સચિવાલયમાં સેક્શન અધિકારીની કુલ 606 જગ્યા પૈકી 231 જગ્યા એટલે કે 38 ટકા લાંબા સમયથી ખાલી છે. જેના કારણે હાલ સેવા આપતા અધિકારીઓ પર વધારાનો કામનો બોજ વધ્યો છે અને નીતિ આધારિત અને મહત્વપૂર્ણ કામગીરીની ગતિ પર સીધી અસર થઈ રહી છે. ભરતી પ્રક્રિયા પૂર્ણ થવા 2-3 વર્ષ લાગતા હોય છેએસોસિએશનના જણાવ્યા મુજબ આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની વ્યવસ્થા હોવા છતાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થવા 2-3 વર્ષ લાગતા હોય છે. ઉપરાંત, નિયુક્ત નવા અધિકારીઓને તાલીમ અને અજમાયશી સમયગાળા બાદ કાર્યક્ષમ બનવા 4થી 5 વર્ષ જેટલો સમય લાગી જતા હોવાથી તંત્રમાં કાર્યક્ષમતા અને નિર્ણયક્ષમતાનો અભાવ સર્જાઈ રહ્યો છે. 2040 સુધી માત્ર 350 જેટલા અધિકારીઓને જ બઢતી મળવાની શક્યતાહાલ સચિવાલયમાં 1350થી વધુ નાયબ સેક્શન અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે, પરંતુ સેવા નિયમો પ્રમાણે વર્ષ 2040 સુધી માત્ર 350 જેટલા અધિકારીઓને જ બઢતી મળવાની શક્યતા છે. બાકી રહેલા લગભગ 1000 કર્મચારીઓ દાયકાઓ સુધી બઢતીથી વંચિત રહેવાની સ્થિતિ સર્જાઈ છે, જેનાથી કર્મચારીઓમાં અસંતોષ, નિરાશા અને હતોત્સાહ વધી રહ્યો છે. રજુઆતમાં જણાવ્યા મુજબ બઢતી ન મળવાને કારણે કર્મચારીઓમાં ફ્રસ્ટ્રેશન, નિર્ણય પ્રક્રિયામાં વિલંબ અને પોલિસી પેરાલિસિસ જેવા નકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે જે રાજ્યના સમગ્ર વહીવટ પર અસરકારક છે. એસોસિએશને માંગણી કરી છે કે, ભરતી નિયમોમાં યોગ્ય ફેરફાર કરીને સેક્શન અધિકારીની ખાલી જગ્યાઓ તાત્કાલિક ફિડર કેડરના અનુભવી નાયબ સેક્શન અધિકારીઓથી ભરવામાં આવે, જેથી અનુભવ ધરાવતા કર્મચારીઓ વહીવટમાં યથોચિત રીતે યોગદાન આપી શકે અને રાજ્યના વિકાસલક્ષી કાર્યમાં વેગ મળી રહે.
ગઢડામાં જીનનાકા પાસે છકડો રીક્ષા પલટી:ખાડાઓને કારણે દુર્ઘટના, તાત્કાલિક સમારકામની માંગ
ગઢડાના જીનનાકા મુખ્ય માર્ગ પર ખાડાઓને કારણે એક કપાસ ભરેલી છકડો રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. આ ઘટનાએ રસ્તાની બિસ્માર હાલત ફરી એકવાર સામે લાવી છે. દુર્ઘટના બનતા જ સ્થાનિક લોકો અને ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે રીક્ષાને ઊભી કરવામાં અને ડ્રાઈવરને મદદ કરી હતી. આ ઘટના બાદ સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જીનનાકા મુખ્ય માર્ગ વર્ષોથી ખખડધજ સ્થિતિમાં છે. રસ્તા પરના ઊંડા ખાડાઓ વાહનચાલકો માટે જોખમી બન્યા છે. આ માર્ગ ભાવનગર, રાજકોટ, અમરેલી અને અમદાવાદ સહિતના મુખ્ય શહેરોને જોડે છે, તેમ છતાં તેની અવગણના કરવામાં આવી રહી છે. સ્થાનિકો અને વાહનચાલકોએ તંત્રને તાત્કાલિક ધોરણે આ માર્ગનું ગુણવત્તાપૂર્ણ સમારકામ કરવાની માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો સમયસર સમારકામ નહીં થાય તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. લોકો કાગળ પરના વાયદા નહીં, પરંતુ જમીન પર કામ જોવા માંગે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સોમવારે જામનગરની મુલાકાત લેશે. તેઓ સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરશે અને કુલ 622.52 કરોડ રૂપિયાના 69 વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે. મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. રવિવારે, એરપોર્ટથી સાત રસ્તા બ્રિજ અને સભા સ્થળ સુધી 30 જેટલી કારના કાફલા સાથે રૂટનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે 54 કામોના ખાતમુહૂર્ત અને 15 કામોના લોકાર્પણ કરવામાં આવશે. જે કામોના ખાતમુહૂર્ત થનાર છે તેમાં જામનગર મહાનગરપાલિકા હસ્તકના રૂ. 33.89 કરોડના કામો, પશુપાલન વિભાગના 13 કામો, માર્ગ અને મકાન વિભાગના રૂ. 64.03 કરોડના 34 કામો, પોલીસ વિભાગનું રૂ. 20.36 કરોડનું એક કામ, જિલ્લા આયોજન કચેરી હસ્તકનું રૂ. 0.09 કરોડનું એક કામ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકનું રૂ. 0.90 કરોડનું એક કામ સામેલ છે. લોકાર્પણ થનાર કામોમાં જામનગર મહાનગરપાલિકા હસ્તકના રૂ. 417.33 કરોડના સાત કામો, મેડિકલ કોલેજ હસ્તકનું રૂ. 54.94 કરોડનું એક કામ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકના રૂ. 2.04 કરોડના ચાર કામો, સિંચાઈ વિભાગના રૂ. 13.26 કરોડના બે કામો અને જિલ્લા આયોજન કચેરી હસ્તકનું રૂ. 0.05 કરોડનું એક કામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અન્ય વિભાગોના રૂ. 101.01 કરોડના 53 કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 70.29 કરોડના 8 કામોનું લોકાર્પણ પણ કરવામાં આવશે. મુખ્યમંત્રીના આગમનને પગલે જામનગર વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
મહેસાણા શહેરમાં ફરી એકવાર ચેન સ્નેચરો સક્રિય થયા છે.શહેરના ગાયત્રી મંદિર નજીક દર્શન કરી એક વૃધ્ધા પોતાના ઘરે ચાલીને જતા હતા એ દરમિયાન સરનામું પૂછવાના બહાને બે અજાણ્યા ઈસમોએ વૃધ્ધાના ગળામાં પહેરેલ બે તોલાનો સોનાનો દોરો ઝૂંટવી રફુચક્કર થઈ ગયા હતા.સમગ્ર ઘટના અંગે વૃદ્ધાએ ઘરે જાણ કરતા ત્યારબાદ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા બે ઈસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તજવીજ આદરી છે. બાઈક પર આવેલા બે શખસો ગુનાને અંજામ આપી ફરારમહેસાણા શહેરમાં ધરમ સિનેમા પાછળ ત્રિવેણીપાર્ક સોસાયટીમાં રહેતા 67 વર્ષીય ઉષાબેન ચૌધરી આજે સવારે પોણા નવ વાગે પોતાના ઘરેથી ચાલીને મહેસાણા હાઇવે પર આવેલા ગાયત્રી મંદિરે દર્શન કરવા માટે ગયા હતા.અને દર્શન કરી પરત ઘરે ચાલીને જતા હતા એ દરમિયાન સ્વામિનારાયણ મંદિરના પ્રાર્થનાસભા હોલ પાસે જતા હતા એ દરમિયાન બે અજાણ્યા ઈસમોએ સંસ્કાર ફ્લેટ પાસે બાઇક ઉભું રાખી ઉભા હતા. બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી જેમાંથી એક ઇસમે વૃદ્ધા પાસે જઈ રામ લખન ફ્લેટ ક્યાં આવ્યા એમ પૂછવા નજીક ગયો અને વૃધા ના ગળામાં પહેરેલ સોનાનો દોરો ઝૂંટવી બાઇક પર બેસી હિંગળાજ ચોક તરફ ભાગી ગયો હતો.સમગ્ર ઘટના અંગે વૃધા એ ઘરે આવી પોતાના પતિને આ બાબતે જાણ કરી હતી.ત્યારબાદ તેઓએ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં 1,35 લાખ કિંમતના સોનાના દોરા ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.
સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે 13થી 23 નવેમ્બર સુધી યોજાયેલા અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025માં કુલ 8.21 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. જેને કારણે આ સાહિત્યિક મહોત્સવ રાજ્યમાં જ નહીં પરંતુ, રાષ્ટ્રીય સ્તરે પણ સૌથી વધુ મુલાકાતીઓ ધરાવતું બુક ફેસ્ટિવલ બની ગયો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા પણ મુલાકાત લેવામાં આવી હતી. ખાસ કરીને યુવાઓ અને બાળકો પણ આ બુક સ્ટોલમાં આવીને સાહિત્ય અંગેની માહિતી મેળવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત ‘બેરિસ્ટર મિસ્ટર પટેલ’ સહિત અનેક પુસ્તકોનું લોન્ચિંગ પણ થયું હતું. આ મહોત્સવમાં 300થી વધુ પ્રકાશકોએ ભાગ લીધો હતોઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા લગભગ 1 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં તૈયાર કરાયેલ આ મહોત્સવમાં 300થી વધુ પ્રકાશકોએ ભાગ લીધો હતો. શહેરના દરેક વય જૂથ માટે ત્રણ વિશિષ્ટ ઝોન બનાવવામાં આવ્યા હતા, જેમાં બાળ સાહિત્ય, સર્જનાત્મક સત્રો, કાવ્ય-વાચન, લેખકો સાથેની ચર્ચાઓ, વર્કશોપ્સ અને ફિલ્મ ફેસ્ટિવલ જેવી પ્રવૃત્તિઓ સતત પ્રેક્ષકોને આકર્ષિત કરતી રહી હતી. વિવિધ સ્પર્ધાઓમાં હજારો વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયાઆ બુક ફેસ્ટિવલમાં બાળકોના વર્કશોપ્સ, વાર્તાવાચન કાર્યક્રમો, કલા-હસ્તકલા, ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલે વિશેષ લોકપ્રિયતા મેળવી હતી. સ્કૂલ બોર્ડના શતાબ્દી મહોત્સવના ભાગરૂપે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં હજારો વિદ્યાર્થીઓને ઇનામો આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. યુવાનો માટેના ‘જ્ઞાન ગંગા’ વર્કશોપ્સે પણ મહોત્સવની ધમાકેદાર સફળતામાં મોટો ફાળો આપ્યો હતો. કાવ્ય લેખન, નાટક, ફિલ્મ સ્ક્રિપ્ટિંગ અને બુક ડિઝાઇન સહિતના સર્જનાત્મક વર્કશોપ્સ અને વિવિધ બુક લોન્ચ સત્રોએ વિદ્યાર્થીઓ, લેખકો અને સર્જકોને એકસાથે લાવ્યા હતા. દરરોજ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ સમગ્ર મહોત્સવને જીવંત રાખ્યોઆ ઉપરાંત વિદેશી વક્તાઓની હાજરીએ મહોત્સવને વૈશ્વિક સ્પર્શ આપ્યો હતો. ચિલે, સ્પેન, ઇંગ્લૅન્ડ અને દક્ષિણ આફ્રિકામાંથી આવેલા વિચારકોએ ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિ સાથે સંબંધિત વિષયો પર વિશેષ સત્રો લીધા હતા. એટલું જ નહીં મેઇન સ્ટેજ પર દરરોજ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ સમગ્ર મહોત્સવને જીવંત રાખ્યો હતો. આ મહોત્સવનું આયોજન સુવ્યવસ્થિતતા અને સુવિધાઓને કારણે પણ ખૂબ વખાણાયુ હતું. સ્વચ્છ કેમ્પસ, વિશાળ ફૂડ કોર્ટ, સ્ટાર્ટઅપ ઝોન, વીઆર ગેમિંગનું અનોખું સ્ટેમ્પ પ્રદર્શન અને વાંચન માટે અનુકૂળ વાતાવરણના કારણે અનેક પરિવારોને અહીં લાંબા સમય સુધી સમય વિતાવવાનો આનંદ મળ્યો હતો. આમ, આયોજકોએ કરેલી મહેનતને સ્મરણીય સફળતા મળતાં અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025ને ‘જ્ઞાનનો મહાકુંભ’ તરીકે ઓળખ મળી છે.
બોટાદ: બોટાદ શહેરના ગિરિરાજ જૈન સંકુલ ખાતે નાના બાળકો માટે એક વિશેષ શૈક્ષણિક અને પ્રેરણાત્મક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ બાળકોમાં મોબાઇલના વધતા ઉપયોગને નિયંત્રિત કરવો, અભ્યાસ પ્રત્યે રુચિ જગાવવી અને ટેકનોલોજીના સંતુલિત ઉપયોગ અંગે માર્ગદર્શન આપવાનો હતો. શિબિર દરમિયાન, બાળકોને આધ્યાત્મિક જ્ઞાન, વ્યક્તિત્વ વિકાસ, નૈતિક મૂલ્યો, સમયનો સાર્થક ઉપયોગ અને નિયમિત અભ્યાસના મહત્વ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. બાળકોએ ઉત્સાહપૂર્વક વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો અને શાળાકીય જીવન તેમજ ભવિષ્ય માટે ઉપયોગી જ્ઞાન મેળવ્યું. ગિરિરાજ જૈન સંકુલ દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસને વાલીઓ અને સમાજના સભ્યો તરફથી વ્યાપક પ્રશંસા મળી છે. આવી શિબિરો નાના વિદ્યાર્થીઓમાં સકારાત્મક દૃષ્ટિકોણ અને સર્જનાત્મકતા વિકસાવવામાં મદદરૂપ થાય છે.
મોરબીમાં છત પરથી પડી યુવાનનું મોત:હળવદમાં વાડીએ વીજ શોકથી પરણીતાનું મૃત્યુ
મોરબી અને હળવદમાં જુદા જુદા બે બનાવમાં બે વ્યક્તિના મોત થયા છે. મોરબીના મહેન્દ્રનગર પાસે છત પરથી પડી જવાથી એક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે હળવદના અજીતગઢ ગામે વાડીએ વીજ શોક લાગવાથી એક પરિણીતાનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં શિવમ હોસ્પિટલ પાછળ રહેતા દીપકભાઈ હરિભાઈ પરમાર (ઉં.વ. ૩૦) પોતાના ઘરની છત પર બેઠા હતા. અચાનક ચક્કર આવતા તેઓ છત પરથી નીચે પટકાયા હતા. આ ઘટનામાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા દીપકભાઈને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મૃતક દીપકભાઈના ભાઈ કમલેશભાઈ હરિભાઈ પરમાર (ઉં.વ. ૩૭, રહે. ઇન્દિરાનગર, મોરબી) દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી ઘટનામાં, હળવદ તાલુકાના અજીતગઢ ગામની સીમમાં રજનીભાઈ પ્રેમજીભાઈ પટેલની વાડીએ મજૂરી કામ કરતા સામંતભાઈ ચૌહાણના પત્ની કીર્તિદાબેન સામંતભાઈ ચૌહાણ (ઉં.વ. ૨૦)નું વીજ શોક લાગવાથી મૃત્યુ થયું હતું. મૂળ દાહોદ જિલ્લાના વતની કીર્તિદાબેન વાડીએ આવેલા ઇલેક્ટ્રિક ટીસી (ટ્રાન્સફોર્મર) પાસે હતા ત્યારે અકસ્માતે તેમને વીજ કરંટ લાગ્યો હતો. વીજ શોક લાગતા કીર્તિદાબેનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મૃતક મહિલાના પતિ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં મહાપાલિકા અને રોટરી ક્લબ દ્વારા રવિવારે 'ધમાલ ગલી' કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કેસર બાગ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકોએ ભાગ લીધો હતો અને વિસરાઈ ગયેલી શેરી રમતોનો આનંદ માણ્યો હતો. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા અને મોબાઈલના વધતા ઉપયોગને કારણે બાળકો શેરી રમતોથી વિમુખ થઈ રહ્યા છે. પહેલાના સમયમાં શેરીઓમાં રમાતી લખોટી, થપો, ટાયર ફેરવવા, લંગડી, આંધળોપાટો, કોથળા દોડ, ધમાલિયો ધોકો અને ભમરડા જેવી રમતો હવે ભાગ્યે જ જોવા મળે છે. આ વિસરાઈ ગયેલી રમતોને ફરી જીવંત કરવાના હેતુથી 'ધમાલ ગલી'નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓ, બાળકો, યુવાનો અને વૃદ્ધોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત સૌએ કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડો, લંગડી, આંધળોપાટો, મલ કુસ્તી, લખોટી, સાપસીડી અને દોરડા કૂદ જેવી વિવિધ રમતોની મજા માણી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબના પ્રેસિડેન્ટ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આયોજકોએ જણાવ્યું કે, દર મહિને મોરબીના જુદા જુદા વિસ્તારોમાં આવી જ રીતે 'ધમાલ ગલી'નું આયોજન કરવામાં આવશે.
ભુજના ઢોરી ગામે એક યુવતીની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. પ્રેમ સબંધમાં પથ્થરના ઘા મારી પ્રેમીએ જ હત્યા કરી હોવાની શક્યતાં છે. માધાપર પોલીસે યુવતીના મૃતદેહને પોસમોર્ટમ માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ...
હનીમૂન માટે ગયેલું ગુજરાતી કપલ જાકાર્તામાં ફસાયું હનીમૂન માટે ગયેલું ગુજરાતી કપલ જાકાર્તામાં ફસાયું. શુક્રવારથી આ ત્રણ જણાને એક હોટલમાં ગોંધી રખાયા છે. અને છોડવા માટે પરિવાર પાસે 18 લાખ રૂપિયાની ખંડણી માંગી છે. આ ત્રણેય લોકો અમદાવાદના છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત 5 સામે કરોડોની છેતરપિંડીનો આક્ષેપ રાજકોટના વેપારીએ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત 5 શખ્સો સામે 4.28 કરોડની છેતરપિંડીનો આક્ષેપ કર્યો છે. વેપારીએ આક્ષેપ કર્યો કે, આ અંગે સવાર કરતા તેમણે એવું કહ્યું કે, છેતરપિંડીની અમુક રકમ ભાજપના પાર્ટી ફંડમાં ગઈ છે. અલ્પેશ ઢોલરીયાએ વેપારી સામે 10 કરોડ માનહાનીનો દાવો કર્યો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ચાર કુતરાઓ 5 વર્ષના બાળક પર તૂટી પડ્યાં સુરતમાં ચાર કુતરાઓએ 5 વર્ષના બાળક પર જીવલેણ હુમલો કર્યો. કુતરાઓએ બચકાં ભરી બાળકનું માથું ફાડી નાખ્યું. ગંભીર હાલતમાં બાળકને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો અમિત ચાવડાના ભાજપ પર ગંભીર આક્ષેપ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપનું નામ લીધા વિના આક્ષેપો કર્યા. તેમણે કહ્યું, અહિં પાણી નથી મળતું પણ દારૂ જોઈએ એટલો મળે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો SIRની લાઇનમાં ઊભેલો યુવક ઢળી પડ્યો વડોદરામાં 2 કલાકથી SIRની લાઇનમાં ઊભેલો યુવક અચાનક ઢળી પડ્યો. લોહીલુહાણ હાલતમાં યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ભરત સુતરિયાના વિરોધીઓ પર પ્રહાર અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ પોતાના વિરોધીઓ પર પ્રહાર કર્યાં. તેમણે કહ્યું, 'ચૂંટણી સમયે મને એટલો ઘેરી લીધો હતો અને એવો આહાર કે સેવન કરાવી દીધો હતો, જે મેં ક્યારેય કર્યો નહોતો'. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો CMએ દીકરીના લગ્ન માટે કાર્યક્રમનું સ્થળ બદલ્યું આજે જામનગર શહેરના ટાઉનહોલમાં એક દીકરીના લગ્ન હતા. આવતી કાલે ત્યાં જ મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો. તેથી પરિવાર ચિંતામાં મુકાયો હતો. જો કે, CMએ પરિવાર સાથે ફોન પર વાત કરી, કહ્યું, તમારા મેરેજ હતા ત્યાં મારો પ્રોગ્રામ કરવાની મેં ના પાડી છે, તમે ફંક્શન કરજો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ભાવનગરમાં મદરેસા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા ભાવનગરમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. અકવાડા લેકથી અધેવાડા ગામ સુધીના 24 મીટર TP રોડ પર 1500 ચોરસ મીટરમાં મદરેસા સહિતના દબાણો દૂર કરાયા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રાજકોટઃ પાણીપુરી ખાવા ગયેલી મહિલાની માથું છૂંદી હત્યા રાજકોટની કોપર ગ્રીન સોસાયટીમાં રહેતા 33 વર્ષીય મહિલાની માથું છૂંદેલી હાલતમાં લાશ મળી. ગઈકાલે સાંજે પતિને પાણીપૂરી ખાવા જાઉં છું, તેમ કહી ઘરેથી નીકળ્યાં હતાં. પરંતુ બાદમાં પરત ન ફર્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુરતઃ 60 ફૂટ ઊંચા ઓવરબ્રિજથી પટકાતા માલિકનું મોત સુરત શહેરમાં અણુવ્રતદ્વાર ઓવરબ્રિજ પરથી પટકાતા માલિકનું મોત નિપજ્યું. બ્રિજ પરથી મહિલાનું મોપેડ મળ્યું છે. આ ઘટના અકસ્માત છે કે પછી આપઘાત તેને લઈ રહસ્ય ઘેરાયું છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
સાબરકાંઠા જિલ્લામાં મતદાર યાદી સુધારણા (SIR) કાર્યક્રમ હેઠળ 63 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. કુલ 21 દિવસમાં આ પ્રગતિ નોંધાઈ છે. હવે બાકીના 11 દિવસમાં કામગીરી પૂર્ણ કરવા માટે આવતીકાલથી બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) ફિલ્ડમાં જઈને ઘરે-ઘરે મુલાકાત લેશે. જિલ્લામાં કુલ 11,61,128 મતદારો નોંધાયેલા છે, જેમાં 5,87,484 પુરુષ, 5,73,591 સ્ત્રી અને 53 ત્રીજા જાતિના મતદારોનો સમાવેશ થાય છે. SIR કાર્યક્રમ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી એક મહિના માટે ચાલવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત, જિલ્લા કલેક્ટર રવિવારે સવારથી પોશીના, ખેડબ્રહ્મા, વિજયનગર, ઇડર, વડાલી અને હિંમતનગરના વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી હતી. તેમણે BLOsની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને જરૂરી જાણકારી મેળવી. ખેડબ્રહ્મા વિધાનસભા મતદાર વિભાગમાં મતદારોને મતદાન મથક પર ફોર્મ ભરવા માટે એકઠા કરવા રૂઢિગત પરંપરા મુજબ ઢોલ વગાડવામાં આવ્યા હતા. BLOs સાથે સહાયકો પણ મુકવામાં આવ્યા છે, જેથી કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકે. 23 નવેમ્બર, 2023 સુધીમાં 63 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. બાકીના 11 દિવસમાં SIRની કામગીરી પૂર્ણ કરવાની હોવાથી, BLOs પોતાના મતદાન મથક વિસ્તારમાં ફિલ્ડમાં જશે. તેઓ ઘરે-ઘરે પહોંચીને ભરાયેલા ફોર્મ પરત લેશે અને બાકી રહેલા ફોર્મ ભરવા અંગેની જાણકારી પણ આપશે. સાબરકાંઠા ચૂંટણી વિભાગ પાસેથી મળેલ માહિતી મુજબ, 4 નવેમ્બરથી 23 નવેમ્બર સુધીમાં SIR હેઠળ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની જિલ્લામાં 63 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. વિધાનસભાવાર આંકડા જોઈએ તો, હિંમતનગરમાં 61 ટકા, ઇડરમાં 68 ટકા, ખેડબ્રહ્મામાં 59 ટકા અને પ્રાંતિજ વિધાનસભામાં 64 ટકા કામગીરી પૂર્ણ થઈ છે.
નર્મદા જિલ્લાના તિલકવાડા રેલવે સ્ટેશન નજીક આજે એક અત્યંત કરૂણ ઘટના બની છે, જેમાં અંડરગ્રાઉન્ડ કામગીરી દરમિયાન વીજ કરંટ લાગવાથી બે યુવકોના મોત થયા છે. મૃતકો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના રહેવાસીમૃતક યુવકોની ઓળખ વિજય બાબુભાઈ મેળા અને ગોવિંદ મનુભાઈ ડામોર તરીકે થઈ છે. આ બન્ને યુવાનોની ઉંમર અંદાજિત 25 થી 30 વર્ષની હતી અને તેઓ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના રહેવાસી હોવાનું જાણવા મળેલ છે. જમીનની અંદર રહેલા વીજ વાયરના સંપર્કમાં આવી ગયાપ્રાથમિક માહિતી મુજબ, અંડરગ્રાઉન્ડ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જમીનની અંદર રહેલા વીજ વાયરના સંપર્કમાં આવી જવાથી આ કરૂણ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ તિલકવાડા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યાબન્ને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તિલકવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુઃખદ ઘટનાને પગલે મૃતકોના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લોકોના આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ મેળવીને કરોડો રૂપિયાની પર્સનલ લોનના નામે પૈસા લઈ છેતરપિંડી કરવામાં આવી હોવા અંગેની ફરિયાદ અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધવામાં આવી છે. નોકરિયાત અને વેપારી લોકોને પોતાની વેપારીની ઓળખ આપીને બેંકમાં સારું સેટિંગ છે, પર્સનલ લોન કરાવી લાખો કરોડો રૂપિયાની લોન લેવામાં આવતી હતી. જે બાદ થોડો સમય હપ્તા ભરી અને ત્યારબાદ પૈસા આપવામાં આવતા નહોતા. અનેક લોકો સાથે આ રીતે છેતરપિંડી કરી ઘર તેમજ ઓફિસ બંધ કરી ફરાર થઈ જતા યુવક વિરુદ્ધ આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાતા પોલીસે નિકોલના વિશાલ વોરા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીએ પોતાની ઓળખ વેપારી તરીકે આપી હતીનિકોલ વિસ્તારમાં આવેલા શ્રીનંદ ઇલાઇટમાં રહેતા અને ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરતા મેહુલ સતાસિયાના ફ્લેટમાં વિશાલ વોરા નામનો વ્યક્તિ રહેતો હતો. પોતે વેપારી તરીકેની ઓળખ આપી હતી અને ફ્લેટમાં જ રહેતો હોવાથી મેહુલભાઈ તેમને ઓળખતા હતા. ઓગસ્ટ, 2024માં વિશાલે મેહુલભાઈને કહ્યું હતું કે, મારે ધંધામાં એક કરોડ રૂપિયાની જરૂરિયાત છે, જેથી તમે મદદ કરો. પરંતુ મેહુલભાઈએ કહ્યું હતું કે, મારી પાસે આટલા પૈસા નથી, જેથી વિશાલે ફરીથી તેમને કહ્યું હતું કે, મારુ બેંકોમાં સેટિંગ છે. તમારા ડોક્યુમેન્ટ આપો તો તમારા નામે પર્સનલ લોન લઈ લઉં અને લોનના હપ્તાહ હું ભરીશ. જે પણ ભવિષ્યમાં ધંધો થશે, તેના નફાના 50 ટકા આપણે વહેંચી લઈશું તેવી વાત કરી હતી. લોનના હપ્તા પણ પોતે ભરશે એવી વાત કરીને મેહુલભાઈને વિશ્વાસમાં લઈ લીધા હતા. સાત બેંકમાં ડોક્યુમેન્ટ આપી 52 લાખની લોન લીધીમેહુલભાઈએ તેમના પાનકાર્ડ આધારકાર્ડ લાઈટ બિલ અને રહેણાંકના પુરાવાઓ વિશાલને આપ્યા હતાં, જે તેમણે લોનના એજન્ટ રાહુલ શર્માને આપ્યા હતા. Hdfc, icici અને બંધન બેંક જેવી કુલ અલગ-અલગ સાત જેટલી બેંકોમાં ડોક્યુમેન્ટ આપ્યા હતાં અને તેમાંથી વેરિફિકેશન થયું હતું. તમામ બેંકોમાંથી કુલ 52 લાખ જેટલી લોન મંજૂર થઈ હતી, જે મેહુલભાઈના બેંક એકાઉન્ટમાં જમા થયા હતાં. ત્યારબાદ અલગ-અલગ ફોર્મ અને બેંક એકાઉન્ટમાં પૈસા વિશાલભાઈ ટ્રાન્સફર કરવાનું કહેતા તે પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જે પૈસા ટ્રાન્સફર કર્યા બાદ હપ્તો ભરવાનો આવ્યો હતો, જેમાં અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી કુલ 7.79 લાખ રૂપિયા વિશાલભાઈએ હપ્તા પેટે આપ્યા હતા. લોનના હત્પા ન ભરતા છેતરપિંડીની ફરિયાદઓગસ્ટ, 2025માં છેલ્લે હપ્તો આપવામાં આવ્યો નહોતો, જેથી તેના ડ્રાઇવરને પૂછતા વિશાલભાઈને ઘણા બધા લોકો પૈસા માંગતા હતાં, જેથી બહારગામ ગયા હોવાનું જણાવ્યું હતું. જે બાદ તપાસ કરતા અલગ-અલગ લોકો પાસેથી લાખો કરોડો રૂપિયાની લોન પર્સનલ નામે ધંધામાં આર્થિક મદદના નામે વિશાલ વોરાએ મેળવી લીધી હતી. બાદમાં કોઈપણ પ્રકારના લોનના હપ્તા ભરવામાં આવ્યા નહોતા. જેને લઈને આ છેતરપિંડી કરવામાં આવતા આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશાલ વોરા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મહેસાણામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલયના ગુજરાત ઝોન દ્વારા સેવા કાર્યના 60 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વર્ષ 2025 હીરક જયંતિ રૂપે ઉજવાઈ રહ્યું છે. આ અંતર્ગત બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ હેઠળ મહેસાણા શહેરમાં આજે વિશેષ શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શાંતિના સંદેશ સાથે પદયાત્રા યોજાઈઆ પદયાત્રામાં બ્રહ્માકુમારીઝના શ્વેત વસ્ત્રધારી રાજયોગી ભાઈ-બહેનો સામેલ શાંતિના સંદેશનો પ્રસાર કર્યો હતો.જે મૌન સાધના સાથે શાંતિને આત્માનો સ્વધર્મ અને માનવ સમાજની સર્વોત્તમ સંસ્કૃતિ ગણાવતા સંસ્થા અનુસાર આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ દરેક વ્યક્તિને શાંતિ તરફ પ્રેરિત કરવાનું છે. શાંતિયાત્રાનો મુખ્ય ઉદ્દેશ બ્રહ્માકુમારીઝ પીસ પેલેસથી પરત પેલેસ ફરી આ પદયાત્રા આજે સવારે 7 કલાકે જેલ રોડ સ્થિતિ બ્રહ્માકુમારીઝ પીસ પેલેસથી પ્રસ્થાન કરી દૂધ સાગર ડેરી, રાધનપુર ચોકડી, અમદાવાદ હાઈવેથી મોઢેરા ચોકડી, એસટી વર્કશોપ રોડ, ભમ્મરિયા નાળા, કૃષ્ણનો ઢાળ, તોરણવાળી માતાનો ચોક, ગોપીનાળા થઈને સવારે 8 કલાકે બ્રહ્માકુમારીઝ પીસ પેલેસ ખાતે પરત ફરી હતી.
શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા અને એરફોર્સમાંથી નિવૃત થયેલા 83 વર્ષીય વૃદ્ધ સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધ એરફોર્સમાંથી નિવૃત થતા પેન્શન આવી હતી તે SBI બેંકના ખાતામાં રાખી હતી. તેમજ એફ.ડી અને અન્ય સેવિંગના રૂપિયા પણ બે અલગ અલગ એકાઉન્ટમાં રાખવામાં આવ્યા હતા. સાયબર ઠગિયાએ વૃદ્ધની જાણ બહાર 2.81 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. વૃદ્ધે જ્યારે મકાનનું વીજ બિલ ભરવા માટે ગુગલ પે પર ખાતામાં બેલેન્સ ના હોવાનું સામે આવ્યું હતું. જેથી વૃદ્ધે સાયબર હેલ્પલાઇન નંબર પર અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એરફોર્સમાંથી નિવૃત વૃદ્ધ સાયબર ફ્રોડનો શિકાર બન્યા83 વર્ષીય વૃદ્ધ એરફોર્સમાંથી નિવૃત થયા છે, જે પરિવાર સાથે વેજલપુર વિસ્તારમાં રહે છે. એરફોર્સમાંથી નિવૃત્ત થયા હોવાથી ટેન્શન મળે છે જે SBI ના બેંક ખાતામાં જમા થતું હોય છે. તેમજ આ સિવાય વૃદ્ધે એફ.ડી અને અન્ય સેવિંગના રૂપિયા અલગ અલગ ખાતામાં રાખ્યા હતા. થોડા દિવસ પહેલા મકાનનું વીજ બિલ આવ્યું હોવાથી ઓનલાઈન ભરવા માટે ગુગલ પે ખોલ્યું હતું. ગૂગલ પેથી બિલની ચૂકવણી કરતા ખાતામાં પૂરતું બેલેન્સ ના હોવાનું નોટિફિકેશન આવ્યું હતું. જેથી વૃદ્ધ ચોંકી ગયા હતા અને દીકરાને બેંક એકાઉન્ટ ચેક કરવા માટે કહ્યું હતું. દીકરાએ બેંક એકાઉન્ટ ચેક કરતા પંજાબ નેશનલ બેંક એકાઉન્ટમાં માત્ર 600 રૂપિયા જ બતાવતા હતા. ગૂગલ પે કરતા સાયબર ફ્રોડ થયું હોવાનું સામે આવ્યુંજે બાદ પંજાબ નેશનલ બેંકનું અન્ય એકાઉન્ટ ચેક કરતા જેમાં 26 હજાર બેલેન્સ બતાવતું હતું. બંને બેંક એકાઉન્ટમાં 3 લાખ જેટલું બેલેન્સ હતું અને અચાનક પૈસા ગાયબ થઈ ગયા હતા. જે બાદ પંજાબ નેશનલ બેંકના ATMમાં મિનિસ્ટ સ્ટેટમેન્ટ ચેક કરતા યુપીઆઈ એપથી નાની રકમની જ ચૂકવણી થઈ હોવાનું જોવા મળ્યું હતું. 2.81 લાખ જાણ બહાર ઠગે ટ્રાન્સફર કરી લીધાજેથી વૃદ્ધના દીકરાએ ઓનલાઈન નેટ બેન્કિંગથી પંજાબ નેશનલ બેંકના છેલ્લા ત્રણ મહિનાના બંને ખાતાના સ્ટેટમેન્ટ ડાઉનલોડ કર્યા હતા. જેમાં 24 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર સુધીમાં 5 જેટલા ટ્રાન્જેક્શનથી 2.81 લાખ રૂપિયા જેટલી રકમ કપાઈ ગઈ હોવાનું જોવા મળ્યું હતું. તેમજ રૂપિયા ટ્રાન્જેક્શનના કોઈપણ મેસેજ પણ મળ્યા નહોતા. અજાણ્યા સાયબર ગઠિયા સામે ફરિયાદ નોંધાઈઆટલી મોટી રકમ જાણ બહાર ટ્રાન્સફર થઈ જતા વૃદ્ધે સાયબર હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવી છે. તેમજ અજાણ્યા સાયબર ગઠિયા સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના વધુ તપાસ હાથ ધરી છે.
ગોધરા તાલુકામાં ધારાસભ્ય સી.કે. રાઉલજીના હસ્તે કુલ 8.60 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ નવા રસ્તાઓ ગ્રામીણ વિસ્તારોમાં આંતરિક કનેક્ટિવિટી સુદ્રઢ બનાવશે, જેનાથી ખેડૂતો અને ગ્રામજનોને અવરજવરમાં સુવિધા મળશે. ધારાસભ્ય સી.કે. રાઉલજીની ભલામણને પગલે ગોધરા તાલુકાના પશ્ચિમ વિસ્તારના ગામો માટે મહત્વના રસ્તાઓ મંજૂર થયા છે. જેમાં ખાસ કરીને 3.60 કરોડ રૂપિયાના ખર્ચે બે મુખ્ય રસ્તાઓ બનશે. આમાં સામલી મુખ્ય રોડથી ઉગમના મુવાડા, દારૂનિયા થઈ સામલી ગામને જોડતો અંદાજિત 260 લાખ રૂપિયાનો રસ્તો અને 100 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર રામપુરા ડુંગરીથી પાણકિયા મુવાડી સુધીના રસ્તાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અન્ય 500 લાખ રૂપિયાના ખર્ચે મંજૂર થયેલા રસ્તાઓમાં નાકરેજી વાઘેશ્વરી મંદિરથી ડાભીયા પૂરા અમરેશ્વર તળાવને જોડતો રસ્તો, સાંપા માલગુણથી દેસાઈ આંટા સુધીનો રસ્તો, કોટડા બસ સ્ટેન્ડથી ટેકરા ફળિયા થઈ બાયપાસ સુધીનો રસ્તો તેમજ બખ્ખર ઓરવાડા પાક રોડ બસ સ્ટેન્ડથી વણઝારા ફળિયા થઈ ખેડમાતા સુધીના રસ્તાઓના કામોનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે. આ નવા રસ્તાઓ પૂર્ણ થવાથી ગ્રામજનોને આંતરિક મુસાફરીમાં સરળતા રહેશે. મુખ્ય રસ્તાઓ સાથે સીધું જોડાણ મળવાથી ખેતીના કામો અને પરિવહનમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થશે, જેનાથી ગ્રામીણ અર્થતંત્રને પણ વેગ મળશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય વિનોદ ભગોરા, તાલુકા પંચાયત પ્રમુખ રંજનબેન રાઠોડ, ભાજપ તાલુકા પ્રમુખ સંજય પટેલ, મહામંત્રી રામ ગઢવી, કિસાન મોરચા પ્રમુખ ખુમાનસિંહ ચૌહાણ, એસ.સી. મોરચા પ્રમુખ નારણ પરમાર, ખેડૂત અને સહકારી આગેવાન કનકસિંહ પરમાર તથા રાજુ ચૌહાણ સહિત સ્થાનિક તાલુકા સદસ્યો, સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડના BLO દ્વારા 100 ડિજિટાઈઝેશન કામગીરી પૂર્ણ:પ્રાંત અધિકારીએ અસ્મિતાબેન પટેલનું સન્માન કર્યું
વલસાડ તાલુકામાં SIRની કામગીરી દરમિયાન એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. વલસાડ વિધાનસભા મતવિસ્તાર-179ના ભાગ નંબર 70, ઘડોઈ બુથ નંબર 2 પર ફરજ બજાવતા બુથ લેવલ અધિકારી (BLO) અસ્મિતાબેન પટેલે SIRના ફોર્મનું 100 ટકા ડિજિટાઈઝેશન નિર્ધારિત સમયમર્યાદા પહેલાં પૂર્ણ કર્યું છે. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ વલસાડની મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી વિમલભાઈ પટેલના હસ્તે અસ્મિતાબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી વિમલભાઈએ અસ્મિતાબેનની સમયસર, જવાબદારીપૂર્વક અને કુશળતાપૂર્વક પૂર્ણ કરેલી કામગીરીને બિરદાવી હતી. તેમણે આ કાર્યને પ્રશંસનીય ગણાવ્યું હતું. સરકારી યોજનાઓમાં ડિજિટલ પ્રક્રિયાને વેગ આપવા માટે BLO દ્વારા કરાયેલ આ કામગીરી અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયક બની રહેશે.
રાપરમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા યાત્રા:ધારાસભ્ય સહિત નગરજનો મોટી સંખ્યામાં જોડાયા
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે. આ અંતર્ગત આજે રાપર વિધાનસભા વિસ્તારમાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કલ્યાણપર ખાતેથી આ પદયાત્રાને ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ માર્ચને જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, કાર્યક્રમના ઇન્ચાર્જ અમૃતભાઈ દવે સહિતના અગ્રણીઓએ પ્રસ્થાન કરાવ્યું હતું.આ એકતા પદયાત્રા કલ્યાણપરથી શરૂ થઈને લાલાસરી, હેલીપેડ વિસ્તાર, પ્રાગપર ચોકડી અને સલારીનાકા દેના બેંક ચોક ખાતેથી પસાર થઈ હતી, જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પદયાત્રાનું સમાપન સ્વામિનારાયણ મંદિર ખાતે થયું હતું. આ પદયાત્રામાં ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, મામલતદાર એચ.બી. વાઘેલા, ચીફ ઓફિસર તરુણદાન ગઢવી, પીઆઈ બી.જી. ડાંગર, રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા અને નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, ભાજપના અન્ય આગેવાનો, આંગણવાડી કાર્યકરો, મિશન મંગલમ સખી મંડળો અને વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલના દેશની એકતા અને અખંડિતતામાં આપેલા યોગદાન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ સહિતના અન્ય કાર્યક્રમો પણ યોજાયા હતા.આ યાત્રામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સરપંચો, તલાટીઓ અને સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજાએ કર્યું હતું.
પારડીમાં આયુષ મેળો અને મેગા કેમ્પ યોજાયો:નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં કાર્યક્રમ સંપન્ન
વલસાડ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા રવિવારે પારડીના ધીરૂભાઈ નાયક હોલ ખાતે આયુષ મેળો અને મેગા કેમ્પ યોજાયો હતો. રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ લોકોને આયુર્વેદ અપનાવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આરોગ્ય સેવાઓ ઘરઆંગણે પહોંચાડવા પ્રયાસો કર્યા હતા. આજે 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનાથી લોકોમાં આરોગ્ય જાગૃતિ વધી રહી છે. જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી અને આયુર્વેદ અપનાવવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે તેમ જણાવ્યું હતું. જિલ્લા આયુર્વેદ અધિકારી ઉર્વીબેન પટેલે સ્વાગત પ્રવચનમાં આયુર્વેદ, હોમિયોપેથી અને જીવનશૈલી પરિવર્તનનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા આયુર્વેદ શાખાના મેડિકલ ઓફિસરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ આયુર્વેદ પ્રદર્શન, વનસ્પતિ, ઔષધીય આહાર અને રંગોળી સહિતના સંગ્રહોની મુલાકાત લીધી હતી. બાળકોને સુવર્ણપ્રાશન પણ કરાવવામાં આવ્યું હતું. આયુર્વેદનો સંદેશ લોકો સુધી પહોંચે તે માટે મંત્રી કનુભાઈ દેસાઈએ આકાશમાં રંગીન ફુગ્ગા ઉડાડ્યા હતા. આયુષ મેળામાં ચામડી, સ્ત્રીરોગ, બાળરોગ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને થાઇરોઈડ સહિતની અનેક બિમારીઓની તપાસ અને સારવાર નિષ્ણાત ડોકટરો દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં VIA પ્રમુખ સતીશ પટેલ સહિત અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણમાં ચાલુ વર્ષે પ્રથમ પુરુષ નસબંધી કરાઈ:NSV પખવાડિયા અંતર્ગત પુરુષોને નસબંધી કરાવવા અપીલ
પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે પ્રથમ પુરુષ નસબંધી (NSV) ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. જિલ્લામાં પુરુષ નસબંધી પખવાડિયાની ઉજવણી ચાલી રહી છે, ત્યારે આ સિદ્ધિ નોંધાઈ છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ 21 નવેમ્બરથી 4 ડિસેમ્બર, 2025 દરમિયાન પુરુષ નસબંધી પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. કુટુંબ નિયોજનમાં પુરુષોની ભાગીદારી વધારવા માટે આ પખવાડિયાનું આયોજન કરાયું છે. નોંધનીય છે કે ચાલુ વર્ષે પાટણ જિલ્લામાં અત્યાર સુધી એક પણ પુરુષ નસબંધીનો કેસ નોંધાયો ન હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-રણુંજ, સબસેન્ટર-ખીમીયાણા, તાલુકો-પાટણ ખાતે ફરજ બજાવતા આરોગ્ય કર્મચારી દિલીપભાઈ ચૌધરીએ એક લાયક દંપતીને પુરુષ નસબંધી ઓપરેશન કરાવવા માટે સમજાવ્યા હતા. આ દંપતીએ ધારપુર મેડિકલ કોલેજ ખાતે સફળતાપૂર્વક NSV ઓપરેશન કરાવીને સરાહનીય કામગીરી કરી છે. આ ઓપરેશન કરાવનાર લાભાર્થીને સરકાર દ્વારા ₹2000/- ની પ્રોત્સાહક રકમ ચૂકવવામાં આવે છે. પુરુષ નસબંધી માટે પુરુષની ઉંમર 22 થી 60 વર્ષની હોવી જોઈએ. દંપતીને એક કે તેથી વધુ બાળકો હોવા ફરજિયાત છે અને પત્નીની સંમતિ પણ જરૂરી છે. આ ઓપરેશનમાં કોઈ ટાંકા લેવામાં આવતા નથી અને દર્દીને તરત જ રજા આપવામાં આવે છે. ઓપરેશન પછી સાત દિવસ સુધી સાયકલ ચલાવવાની મનાઈ હોય છે. મહત્વનું છે કે આ ઓપરેશન કરાવ્યા બાદ પુરુષત્વ કે જાતીય ક્ષમતામાં કોઈ ફેર પડતો નથી. જરૂર જણાય તો આ ઓપરેશન ખોલાવી પણ શકાય છે. લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે અને પુરુષોની ભાગીદારી વધે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કોઈપણ લાભાર્થીને પુરુષ નસબંધી ઓપરેશન અંગે માહિતી જોઈતી હોય તો નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
8 વર્ષથી ફરાર બળાત્કાર-અપહરણનો આરોપી પકડાયો:ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડે અજમેરથી ઝડપ્યો
ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડે બળાત્કાર અને અપહરણના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી ફરાર આરોપીને રાજસ્થાનના અજમેર બસ સ્ટેન્ડ પરથી ઝડપી પાડ્યો છે. આરોપી સજા ભોગવી રહ્યો હતો અને પેરોલ જમ્પ કરીને ભાગી ગયો હતો. યુનુશ અલી ઉસ્માનગની વ્હોરા (રહે. ઘાસમંડાઈ, મુલ્તાનીવાડ, ભરૂચ) ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં દોષિત હતો. અમદાવાદની અધિક સત્ર ન્યાયાલય, કોર્ટ નં. 15 દ્વારા તેને 29 સપ્ટેમ્બર, 2014ના રોજ સાત વર્ષની સખ્ત કેદની સજા ફટકારવામાં આવી હતી. તે અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. આરોપી 31 ઓગસ્ટ, 2017 થી 11 સપ્ટેમ્બર, 2017 સુધી 10 દિવસની પેરોલ રજા પર છૂટ્યો હતો. જોકે, પેરોલ અવધિ પૂરી થયા બાદ તે જેલમાં હાજર ન થઈને ફરાર થઈ ગયો હતો. તેના વિરુદ્ધ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રિઝન એક્ટ 51(એ)(બી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમ આરોપીની શોધખોળ કરી રહી હતી. એ.એસ.આઈ. મગન દોલાભાઈને મળેલી બાતમીના આધારે જાણવા મળ્યું કે આરોપી રાજસ્થાન આવી રહ્યો છે. આ માહિતીના આધારે, ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને અજમેર બસ સ્ટેન્ડ પર સફળતાપૂર્વક કોર્ડન ગોઠવી આરોપીને પકડી પાડ્યો. આરોપીને BNSS કલમ 35(1)(J) મુજબ અટક કરીને આગળની કાર્યવાહી માટે ભરૂચ શહેર બી વિભાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
વલસાડ S.O.G.એ ભીલાડમાંથી ગાંજો ઝડપ્યો:દોઢ લાખથી વધુનો જથ્થો જપ્ત, બે આરોપીઓની ધરપકડ
વલસાડ S.P. યુવરાજસિંહ જાડેજાના આદેશ બાદ S.O.G. ટીમે નશાના નેટવર્ક પર કાર્યવાહી કરી છે. ભીલાડના બોરીગામ વિસ્તારમાં ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદેસર ગાંજાના વેચાણનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે રૂ. 1.91 લાખથી વધુનો ગાંજો જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે સ્થળ પરથી ભાવેશભાઈ રામુભાઈ ધોડી (ઉં.વ. 25) અને સુરજ રાધેશ્યામ કનોજીયા (ઉં.વ. 21) નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 3.835 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત રૂ. 1,91,750/- આંકવામાં આવી છે. ગાંજા ઉપરાંત, પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ. 21,200/- અને ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા હતા. આ તમામ મુદ્દામાલનું કુલ મૂલ્ય રૂ. 2,33,250/- થાય છે. S.O.G. પી.આઇ. એ.યુ. રોઝ અને તેમની ટીમે બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ 1985ની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ પોલીસે નશાખોરી સામેની લડાઈમાં આ સફળતા મેળવી છે.
સુરેન્દ્રનગર SOGએ થાનગઢ તાલુકાના ખાખરાળી ગામેથી એક ઈસમને ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂ. ૩,૦૦૦ની કિંમતની મઝલલોડ બંદૂક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા જિલ્લામાં હથિયારધારાના ગુનાઓ શોધી કાઢવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે SOG સ્ટાફ કાર્યરત હતો. SOG સ્ટાફ થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન મીતભાઈ દિલીપભાઈને ખાનગી બાતમી મળી હતી કે, ખાખરાળી ગામનો નવઘણભાઈ લાલજીભાઈ કણસાગરા નામનો ઈસમ ગેરકાયદેસર હથિયાર ધરાવે છે અને તેણે તે હથિયાર પોતાના ખેતરની ઓરડી પાસે રાખેલું છે. આ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા નવઘણભાઈ લાલજીભાઈ કણસાગરા (ઉં.વ. 27, ધંધો: ખેતી, રહે. ખાખરાળી, તા. થાનગઢ, જિ. સુરેન્દ્રનગર)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી લાયસન્સ કે આધાર પુરાવા વગરની એક દેશી હાથ બનાવટની સિંગલ બેરલ મઝલલોડ બંદૂક (કિંમત રૂ. 3,000) મળી આવી હતી. આ મામલે થાનગઢ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ 25(1)(1-બી)(એ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ, ઝાલા, HC અનિરુદ્ધસિંહ અભેસંગભા, PC અનિરુદ્ધસિંહ ભરતસિંહ, PC મીતભાઈ દિલીપભાઈ અને PC નીતિનભાઈ ગોહિલ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
અક્ષર ફાર્મમાં ભવ્ય-દિવ્ય નગરનું ઉદ્ઘાટન થયું:વોટર-ઇમર્સિવ શો આકર્ષણનું કેન્દ્ર બન્યા
આણંદ BAPS સ્વામિનારાયણ મંદિરના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આણંદ મંદિર રજત જયંતિ મહોત્સવનો પ્રારંભ થયો છે. આ ઉપક્રમે અક્ષર ફાર્મમાં ભવ્ય નગરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ 23 થી 28 નવેમ્બર સુધી ચાલશે. આ નગરમાં આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને પારિવારિક મૂલ્યોને ઉજાગર કરતા વિવિધ શો જોવા મળશે. તેમાં વ્યસનમુક્તિ પ્રદર્શન, બાળ નગરી, બાળકોની કુટેવ-સુટેવની પ્રસ્તુતિ અને મોબાઈલની માયાજાળમાંથી મુક્તિની પ્રેરણા આપતો પિંજર સંવાદનો સમાવેશ થાય છે. મહોત્સવમાં વોટર શો અને ઇમર્સિવ શો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ કાર્યક્રમોનો લાભ દરરોજ સવારે 9 થી 4 અને સાંજે 5 થી 9 દરમિયાન લઈ શકાશે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને પરિવારો માટે આ એક અમૂલ્ય અવસર છે. આ ઉપરાંત, દરરોજ સાંજે 5:30 થી 8 દરમિયાન પ્રેરક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કોઠારી પૂજ્ય યજ્ઞસેતુ સ્વામીએ સૌને આ કાર્યક્રમોનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.
ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડૂતો અને લોકોની સમસ્યાઓને ઉજાગર કરવા માટે જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા વાવ થરાદ જિલ્લાના ઢીમા ધરણીધરથી શરૂ થઈને ગતરોજ ઈકબાલગઢ પહોંચી હતી. જ્યાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપનું નામ લીધા વગર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, કોઈપણ સરકારી ઓફિસમાં 'દક્ષિણા' આપ્યા વગર કોઈ કામ થતું નથી અને જે હપ્તા ઉઘારવવામાં આવે છે તેની તિજોરી ભરનારા ગાંધીનગરમાં બેઠા છે'. 'આપણા મતથી સત્તા પર બેઠેલા આપણી વાત સાંભળતા નથી'ઈકબાલગઢમાં એક જાહેર સભાને સંબોધતા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આપણા મતથી સત્તા પર બેઠેલા કે આપણા પૈસે પગાર લેનારા પણ આપણી વાત સાંભળતા નથી. કોઈપણ ઓફિસમાં જાવ જ્યાં સુધી દક્ષિણા ન આપો ત્યાં સુધી કોઈ કામ થતું નથી. 'હપ્તો લેતી હોવાથી પોલીસને દારૂ ક્યા મળે છે તેની જાણ નથી'અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, યાત્રા દરમિયાન એક ગામમાં મહિલાઓએ ફરિયાદ કરી હતી કે, અહિં પિવાનું પાણી નથી મળતું પરંતુ દારુ જોઈએ એટલો મળે છે. ચાવડાએ દાવો કર્યો કે, જ્યારે આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી ત્યારે પોલીસે દારૂ ક્યાં મળે છે તેની જાણ ન હોવાનું જણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે, પોલીસ હપ્તો લેતી હોવાથી તેમને ખબર નથી પડતી. 'તિજોરી ભરવાવાળા તો ગાંધીનગરમાં બેઠા છે'વધુમાં જણાવ્યું કે, એક પોલીસકર્મીએ તો કહ્યું હતું કે, તેઓ હપ્તો ઉઘરાવે છે, પરંતુ તે સીધો ગાંધીનગર જાય છે અને તેમના ભાગમાં બહુ ઓછું આવે છે. ગાંધીનગરવાળા જો ઈચ્છે તો આ બધુ બંધ થઈ જાય. પણ આ તો ઉઘરાવવા વાળા છે, તેની તિજોરી ભરવાવાળા તો ગાંધીનગરમાં બેઠા છે. અમિત ચાવડાએ કહ્યું કે, બીજા એક ગામમાં ગયા ત્યા ગરીબ લોકોએ કહ્યું કે, સાહેબ અમને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ મંજૂર કરાયું પણ તલાટીએ ફોર્મ મંજૂર કરવાના 10 હજાર લીધા હતા. આ અંગે 40 લોકોએ સહી કરીને એક વર્ષથી તેઓ ફરિયાદ કરે છે. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પાલનપુરમાં પહોંચીઆગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ આ યાત્રા દ્વારા છેવાડાના લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ યાત્રા થરાદ, લાખણી, ધાનેરા, ઈકબાલગઢ થઈને આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પહોંચી હતી. ખેડૂતોને પડતી મુશ્કેલીઓ, મોંઘવારી અને ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ સાથે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અને સ્થાનિક નેતાઓ આ જન આક્રોશ યાત્રામાં જોડાયા હતા. પાલનપુરમાં અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસના નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું.
મંત્રી રિવાબા જાડેજાએ SIR કામગીરીની મુલાકાત લીધી:જામનગરના વોર્ડ-6 માં સ્થળ પર સમીક્ષા કરી
જામનગર શહેરમાં ચાલી રહેલી SIR કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે રાજ્યના મંત્રી રિવાબા જાડેજાએ વોર્ડ નંબર-6 ની મુલાકાત લીધી હતી. સરકારના નેતાઓ અને મંત્રીઓ દ્વારા આવા વિસ્તારોની સતત મુલાકાતો લેવામાં આવી રહી છે. આ મુલાકાત દરમિયાન, મંત્રીએ સ્થળ પર ચાલી રહેલી કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે સ્થાનિક નાગરિકો સાથે સીધી વાતચીત કરીને તેમના પ્રશ્નો અને સૂચનો સાંભળ્યા હતા. રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે સરકારની કામગીરીમાં લોકોનો સંપૂર્ણ સહકાર અત્યંત જરૂરી છે. તેમણે વિસ્તારના સ્થાનિક આગેવાનોને અપીલ કરી હતી કે તેઓ લોકો સુધી યોગ્ય માહિતી પહોંચાડે અને કામગીરી દરમિયાન નાગરિકોને સહાયરૂપ બને. આ ઉપરાંત, તેમણે ફરજ પર હાજર અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કાર્યપ્રગતિની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો પણ આપ્યા હતા.
હિંમતનગર: સાબરકાંઠા પોલીસ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA)ના સંયુક્ત ઉપક્રમે હિંમતનગરની GMERS મેડિકલ કોલેજ ખાતે કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય GMERS મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થીઓ, ઇન્ટર્ન અને ફેકલ્ટી સભ્યોમાં કાનૂની સાક્ષરતા ફેલાવવાનો હતો. આ કાર્યક્રમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS), પોલીસ અધિક્ષક, સાબરકાંઠા અને જિલ્લા જાગૃતિ યોજના સમિતિ (NALSA)ના સભ્ય, તેમજ સી.પી. ચારણ, જજ (સચિવ), DLSA, સાબરકાંઠાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે કુલદીપ નાયી, નાયબ પોલીસ અધિક્ષક અને GMERS મેડિકલ કોલેજના ડીન પણ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા યુવા તબીબી વિદ્યાર્થીઓને તેમના કાનૂની અધિકારો, ફરજો, POCSO એક્ટ, સાયબર ક્રાઈમ અને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) એક્ટ જેવા મહત્ત્વપૂર્ણ કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, NALSA હેઠળની યોજનાઓ અને મફત કાનૂની સહાયના અધિકાર વિશે પણ સંવાદ કરી જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને મેડિકલ કોલેજના અધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સેમિનારે યુવા તબીબી વિદ્યાર્થીઓને કાનૂની જ્ઞાન, નિવારક જાગૃતિ અને ન્યાય મેળવવાની પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપી સશક્ત બનાવ્યા. આ કાર્યક્રમ સાબરકાંઠા જિલ્લામાં એક જાણકાર, જવાબદાર અને કાનૂની રીતે જાગૃત યુવા સમુદાયના નિર્માણ તરફનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે. પોલીસ, ન્યાયતંત્ર અને તબીબી ક્ષેત્રના વિદ્યાર્થીઓ વચ્ચે કાયદા અને ન્યાય પ્રણાલી વિશે સફળ સંવાદ સંપન્ન થયો હતો.
રાજકોટના વેપારી સાથે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત 5 શખ્સો દ્વારા શેર બજાર અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે રૂ.4.28 કરોડની છેતરપિંડીની ઘટનામાં નવો ફણગો ફૂટ્યો છે. વેપારી દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા સામે ગંભીર આક્ષેપો કરાયા છે. જેમાં મધ્યસ્થી રહેલા હરી પટેલને અલ્પેશભાઈએ ભાજપ કાર્યાલયે બોલાવી બેઠક કરી ગર્ભિત ધમકીઓ આપી હતી તો અમુક રકમ ભાજપના પાર્ટી ફંડમાં ગઈ હોવાનું કહ્યું હતુ. જ્યારે ભાસ્કરે અલ્પેશ ઢોલરિયા સાથે ટેલિફોનિક સંપર્ક સાધતાં તેને કહ્યું કે, હું વેપારી સામે માનહાનીનો દાવો કરીશ. વેપારીનો જિલ્લા BJP પ્રમુખ સામે ગંભીર આક્ષેપોરાજકોટના મવડી મેઈન રોડ પર રહેતા વેપારી મહેશ હિરપરાએ જણાવ્યું હતું કે, મુંબઈમાં રહેતા હરિભગત અમારા પાર્ટનર છે અને મારા સાળાના રિલેશનમાં છે. મુંબઈમાં તેમનો મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ છે. ગત માર્ચ 2025માં અમારી પાસે એવી વાત આવે છે કે ફોરેનમાં પૈસાનું રોકાણ કરીને સારું એવું વળતર મેળવી શકાય તેમ છે. જે દસ દિવસમાં 10% નું વળતર મેળવી આપે છે. BKC બિલ્ડીંગના પાછળના ભાગમાં આ સમગ્ર વહીવટ થાય છે. દર્પણ બારસીયા દ્વારા આ વહીવટ ચલાવવામાં આવે છે. ફરિયાદમાં પરેશ ઢોલરીયાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે તે ફોરેનમાં રોકાણ કરાવનારી પાર્ટી છે. જેમાં રોકાણ માટે પૈસા આપ્યા બાદ પરત વળતર આવતું નથી. 'દર્પણ બારસીયા ત્યાં મારામારી કરે છે'વેપારીએ વધુમાં કહ્યું કે, જેથી ગૌતમ બારસીયાની આર.કે. પ્રાઈમ ઓફિસે હરી પટેલને બોલાવવામાં આવે છે. જ્યાં રૂ.4,28,46,000 નું વળતર લેવાની વાત કરવામાં આવે છે. જ્યાં દર્પણ બારસિયા પણ હાજર હોય છે. જોકે દર્પણ બારસીયા ત્યાં મારામારી કરે છે અને ત્યાંથી હરિ પટેલ સહિતનાને કાઢી મૂકે છે. જે બાદ દર્પણ બારસીયા એવું કહે છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા અમારા પાર્ટનર છે અને તેઓ પણ આમાં છે એટલે જો તમે આ મેટરમાં કંઈ કરશો તો તમારે પૈસા ખોવાનો વારો આવશે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મીટીંગ તેને વધુમાં ઉમેરતાં જણાવ્યું કે, જે બાદ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા અલ્પેશ ઢોલરીયા ને ફોન કરવામાં આવે છે તો ફોન ઉપર એક તેઓ એવું કહે છે કે અમારા છોકરાને તેની પાસેથી રૂ. 2 કરોડ લેવાના છે. તે સમયે હરી પટેલ એવું કહે છે કે જો પૈસા દેવાના બાકી હશે તો તે આપી દેશે. જે બાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મીટીંગ માટે બોલાવવામાં આવે છે પરંતુ કોઈ કારણોસર ત્યાં મીટીંગ કેન્સલ થાય છે અને ત્યારબાદ અલ્પેશ ઢોલરીયા ગોંડલ રોડ ઉપર આવેલા ભાજપના કાર્યાલયે બોલાવે છે અને તેને પોતાની ઓફિસ ગણાવે છે. જ્યાં મીટીંગ દરમ્યાન અલ્પેશ ઢોલરીયા ગર્ભિત ધમકીઓ આપે છે અને આમાંથી અમુક રકમ પાર્ટી ફંડમાં ગઈ હોવાનું જણાવે છે અને પૂરી રકમ મળવા પાત્ર નથી તમારે અમુક રકમનું સેટિંગ કરવું હોય તો કરાવી આપીશ તેવું કહે છે. 'દોઢ કલાક મિટિંગ શેના માટે થઈ હતી ?'આ ઉપરાંત ઢોલરીયા માનહાનીનો દાવો કરવાના છે તે અંગે પૂછતા વેપારી મહેશ હિરપરાએ જણાવ્યું હતું કે, જો અલ્પેશભાઈ મારા ઉપર 10 કરોડનો દાવો કરવાના હોય તો મારે એટલું જ કહેવાનું છે કે ગોંડલ રોડ ઉપર ભાજપ કાર્યાલયમાં હરી પટેલ સાથે દોઢ કલાક સુધી મિટિંગ થઈ હતી તે શેના માટે થઈ હતી ? અલ્પેશભાઈનો ઇરાદો ગર્ભિત ધમકીઓ આપીને રકમ પચાવી પાડવાનો હતો. 'સારો પ્રોફિટ મળશે તેવું કહી 8 લાખનું રોકાણ કરાવ્યું'ઉલ્લેખનીય છે કે વેપારી દ્વારા પોલીસ કમિશનર સમક્ષ ગઈકાલે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા, દર્પણ બારસિયા, પરેશ ડોબરીયા, ગૌતમ બારસિયા અને સંદીપ સેખલિયા સામે અરજી કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ સાત મહિના પહેલા મુંબઈમાં ડ્રેસ મટીરીયલનું કામકાજ કરતા હરિકૃષ્ણ પટેલ દ્વારા સાળા નિલેશ વેકરીયા અને મારો સંપર્ક કરેલો હતો. શેર બજાર અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી સારો એવો પ્રોફિટ મળશે તેવું કહી રૂ.8 લાખનું રોકાણ કરાવ્યું હતું. જે બાદ તે રકમ થોડા દિવસોમાં પરત આપી દીધી હતી. '4.28 કરોડ મુંબઈ હરિ પટેલને આપવા પહોંચ્યા'જે બાદ આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરાને પાર પાડવા જણાવ્યું હતું કે જો 1 મિલિયન ડોલર એટલે કે રૂ.8 કરોડ ઇન્વેસ્ટ કરવામાં આવે તો બે દિવસમાં 10 ટકા વળતર મળે તેમ છે. જેથી આ રકમ ત્રણ દિવસમાં પરત આપી દેવા જણાવ્યું હતુ. જેથી નિખિલ સોરઠીયા, નીલેશ વેકરીયા, નાનજીભાઈ હિરપરા, રાજુભાઈ પાંભર, મહેન્દ્ર હિરપરા અને વિશાલ આહીર પાસેથી તેમજ હરી પટેલ દ્વારા અન્ય લોકો પાસેથી ઉછીના લઈને કુલ રૂ.4,28,46,000 લઈ મુંબઈ હરિ પટેલને આપવા પહોંચ્યા હતા. 'આર. કે. પ્રાઈમની ઓફિસે બેઠક, ધમકી આપવામાં આવી'જ્યાં દર્પણ બારસિયાએ નાણા અમેરિકા એમ્બેસીની બાજુમાં BKC બિલ્ડિંગના પાર્કિંગમાં રકમ આપવાનું જણાવ્યુ હતું. જોકે આ બાદ ઘણા દિવસો સુધી રકમ પરત આપવામાં આવી ન હતી. જોકે આ દરમિયાન હરિ પટેલ દ્વારા રૂ.1 કરોડની ઉઘરાણી શરૂ થઈ ગઇ. જે બાદ આર. કે. પ્રાઈમમાં ગૌતમ બારસીયાની ઓફિસે બેઠક થઈ હતી. જેમાં અમને ધમકી આપવામાં આવી હતી કે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા અમારા પાર્ટનર છે જેથી આ બાબતે કોઈને વાત કરી છે તો હાથ પગ ભાંગી નાખશું. જે બાદ હરિ પટેલ સાથે અમને ધક્કા મારી કાઢી મૂકવામાં આવ્યા હતા. 'જો રકમની માંગણી કરી છે તો જાનથી હાથ ધોઈ બેસિસ'તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અલ્પેશભાઈ દ્વારા હરી પટેલને ગર્ભિત ધમકીઓ આપવામાં આવી હતી કે આરોપીઓ સામે ન પડાય અને તેઓ મોટી લાગવગ ધરાવે છે અને ઊલટાનું તમારે વધુ રકમ ચૂકવવી પડશે એના કરતાં તમે તમારી રકમ ભૂલી જાવ અને મેટર પૂરી કરી દયો. નહિતર તમારી જિંદગી ગોટાળે ચડી જશે. આરોપીઓ દ્વારા કાલાવડ રોડ પર આવેલ શ્રીજી હોટેલ પાસે મળવા બોલાવ્યા અને ત્યાં દર્પણ અને તેના 10 જેટલા સાગરીતોએ ગાળાગાળી કરી હતી અને કહ્યું હતું કે હવે જો રકમની માંગણી કરી છે તો જાનથી હાથ ધોઈ બેસિસ. જેથી આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
વડોદરામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) દરમિયાન એક દુખદ ઘટના બની છે. લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહેવાને કારણે એક અરજદાર યુવકની તબિયત અચાનક લથડી ગઈ અને ખેંચ આવતાં તે ચક્કર ખાઈને જમીન પર પડી ગયો. આ ઘટનામાં યુવકના માથાના ભાગે ગંભીર ઈજા થતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી અને યુવકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એક યુવકને ખેંચ આવ્યા બાદ તે ઢળી પડ્યો હતોવડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ખાતે ચાલી રહેલી SIRની કામગીરી દરમિયાન એક યુવકને ખેંચ આવ્યા બાદ તે ઢળી પડ્યો હતો અને અને માથાના ભાગે ગંભીર ઈજા થતાં લોહીલુહાણ થઈ ગયો હતો. જેને પગલે આસપાસના લોકોએ તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાવામાં આવ્યો હતો. 2 કલાકથી લાઈનમાં ઊભો રહીને વારાની રાહ જોતો હતોવડોદરા સહિત રાજ્યભરમાં હાલ SIRની કામગીરી ચાલી રહી છે, વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં પણ આ કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન એક યુવક 2 કલાકથી લાઈનમાં ઊભો રહીને પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યો હતો. લાંબા સમય સુધી ઊભા રહેવાના કારણે તેને અચાનક ખેંચ આવી અને તે ચક્કર ખાઈને જમીન પર ઢળી પડ્યો હતો અને માથાના ભાગે વાગવાથી તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયો હતો. જેથી આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જેના મારફતે યુવકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ બનાવ સમયે હાજર કોંગ્રેસ અગ્રણી રોનક પરીખ ઉર્ફે ચમનભાઈએ વહીવટી તંત્રની કામગીરી પર આકરા પ્રહારો કર્યા હતા. સેન્ટરમાં લોકો માટે પાણી અને બેઠકની તો વ્યવસ્થા કરો - કોંગ્રેસ અગ્રણીકોંગ્રેસ અગ્રણી રોનક પરીખે જણાવ્યું હતું કે, 4 નવેમ્બરથી SIRની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે. શિક્ષકોને હાર્ટએટેક આવે છે. શિક્ષકો થાકી જાય છે. લોકો હેરાન પરેશાન છે. લોકોને મતદાર યાદીની પ્રક્રિયા અંગે સમજ નથી. BLOને પણ સમજ પડતી નથી. કલેક્ટર કોઇ જવાબ આપતા નથી. સાઇટ પણ ચાલુ રહેતી નથી. આજે એક વ્યક્તિ લાઇનમાં ઉભો હતો. એ ડાયાબિટીસનો દર્દી હતો અને એને ખેંચ આવી હતી અને બ્લડ પ્રેશર વધી ગયું હતું અને ધડામ દઇને નીચે પડી ગયો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારી સરકારને અપીલ છે કે, જે સ્કૂલમાં કામગીરી થાય ત્યાં પાણીની અને બેઠકની વ્યવસ્થા કરવામાં આવે. અહીં લોકો બે-બે કલાકથી હેરાન-પરેશાન છે, પણ એક પણ ખુરશી અહીં મુકવામાં આવી નથી. કોઇ વ્યક્તિનું મોત ન થાય, તેનું ધ્યાન રાખવુ જોઇએ. ગઈકાલે જ BLO સહાયકની કામગીરી કરતા મહિલા કર્મચારીનું મોતઉલ્લેખનીય છે કે, ગઇકાલે વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં BLO સહાયક તરીકેની કામગીરી કરતાં એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન કરુણ મોત નીપજ્યું હતુ. BLO સહાયક કામગીરી દરમિયાન અચાનક ઢળી પડ્યાં હતાં. ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડાતાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતાં. મૃતક મહિલાનું નામ ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી (ઉં.વ. 50) હતું, જેઓ ગોરવા મહિલા આઇટીઆઇ (ITI)ખાતે નોકરી કરતાં હતાં અને આજે સવારે કડક બજારમાં આવેલી પ્રતાપ સ્કૂલમાં ફરજ પર હતાં. ઉષાબેન સહાયક કામગીરી કરતાં હતાં એ દરમિયાન અચાનક ઢળી પડ્યાં હતાં. ત્યારબાદ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં. આ પણ વાંચો: વધુ એક BLO ઢળી પડ્યાં, 4 દિવસમાં 4નાં મોત:વડોદરામાં SIRની કામગીરી દરમિયાન શિક્ષકાનું મૃત્યુ, હાર્ટ-એટેકની આશંકા; પતિએ કહ્યું- 'તેમના પર કામનું ભારણ હતું'
બોટાદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન BLO (બૂથ લેવલ ઓફિસર) ને મતદારો તરફથી અપૂરતી માહિતી, ફોર્મમાં અધૂરી વિગતો અને નેટ સર્વર ડાઉનની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આના કારણે BLOમાં નારાજગી જોવા મળી રહી છે અને તેઓ તંત્ર પાસે કામનું ભારણ ઓછું કરવા તથા સમયમર્યાદા વધારવાની માંગ કરી રહ્યા છે. BLO કવિતાબેન ખેતરીયાએ જણાવ્યું કે, મતદારો પાસેથી પૂરી માહિતી મળતી નથી અને ફોર્મ પણ અધૂરા ભરીને આપવામાં આવે છે. ઉપરાંત, નેટ સર્વર ડાઉન રહેવાથી કામગીરીમાં અવરોધ ઊભો થાય છે. તેમણે ઉમેર્યું કે તંત્ર દ્વારા કામગીરીનું દબાણ વધુ છે અને જો વધુ સમય મળે તો તેઓ અસરકારક રીતે કામ પૂર્ણ કરી શકે. જોકે, આ મુશ્કેલીઓ વચ્ચે મતદારોએ BLOની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે. સ્થાનિક મતદારોએ જણાવ્યું કે BLOની કામગીરી સારી છે અને તેઓ ફોર્મ ભરવામાં પણ મદદ કરે છે. ગઢડા તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રીએ પણ BLOની મુશ્કેલીઓને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે મતદારો પૂરી માહિતી ન આપતા હોવાથી અને નેટ સર્વર ડાઉન રહેવાથી BLOને ફોર્મ ભરવામાં ઘણી તકલીફો પડી રહી છે. તેમણે સરકારને સમયમર્યાદા વધારવા અને BLO પરથી કામનું ભારણ ઓછું કરવાની માંગ કરી હતી. આ બાબતે અગાઉ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું.
રાજ્ય સરકાર દ્વારા બાળકોના શિક્ષણ માટે મહેસાણા જિલ્લામાં એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ માત્ર સ્થાનિક બાળકો માટે જ નહીં, પરંતુ એક એવા સમુદાય માટે આશાનું કિરણ બની છે, જેનો જન્મ તો પાકિસ્તાનમાં થયો છે પણ શિક્ષણ ગુજરાતની ઘરતી પર મેળવી રહ્યાં છે. લાંબા સમયથી લોંગ ટર્મ વીઝા (LTV) પર અહીં રહેતા પરિવારોના બાળકો પાકિસ્તાન છોડ્યા બાદ જે અધૂરું શિક્ષણ રહી ગયું હતું, તેને હવે ગુજરાતની સરકારી યોજનાઓ થકી પૂરું કરી રહ્યા છે. આ બાળકો ગુજરાતીમાં વાંચે છે, લખે છે અને ગણિતના દાખલા પણ ગણી શકે છે. લાખવડ ગામમાં વસતા પાકિસ્તાની બાળકો પણ અભ્યાસ કરે છેમહેસાણા જિલ્લાનું લાખવડ ગામ અહીંના એક વિશેષ ક્લાસરૂમમાં તમને એવા બાળકો જોવા મળશે, જેમના ચહેરા પર પોતાના વતનનો ત્યાગ કરવાનો દર્દ છે, પણ સાથે જ ભવિષ્ય બનાવવાનો સંકલ્પ પણ છે. આ એવા બાળકો છે જેમનો જન્મ પાકિસ્તાનમાં થયો છે અને અહીં તેઓ લોંગ ટર્મ વિઝા (LTV) પર આવેલા પરિવારના સભ્યો છે. પાકિસ્તાનમાં અધૂરું રહી ગયેલું શિક્ષણ હવે તેઓ ગુજરાતની સરકારી શાળાઓ થકી મેળવી રહ્યા છે. મહેસાણામાં આવા 13 વર્ગો ચાલી રહ્યા છેઆ બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ (STP) હેઠળ વિશેષ વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે. આ પ્રોગ્રામ થકી એવા બાળકોને પદ્ધતિસરનું શિક્ષણ આપવામાં આવે છે, જેઓ કોઈ કારણસર શાળા છોડી ગયા હોય (ડ્રોપઆઉટ) અથવા ક્યારેય શાળાએ જઈ શક્યા ન હોય. મહેસાણામાં આવા કુલ 13 વર્ગો ચાલી રહ્યા છે, જે 9 મહિના સુધી ચાલે છે. મહેસાણા જિલ્લામાં આ સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામના વર્ગો થકી 132 બાળકો લાભ લઈ રહ્યા છે. આ સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ વર્ગોની વિશેષતા એ છે કે, તેમાં પાકિસ્તાની બાળકોની સાથે સ્થાનિક ડ્રોપઆઉટ બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે. ધોરણ 3થી 8ના આ તમામ બાળકો એક જ ક્લાસરૂમમાં બેસીને ગુજરાતી ભાષા, ગણિત અને અન્ય વિષયોનું જ્ઞાન મેળવી રહ્યા છે. સર્વે કરીને શાળાએ ન ગયેલા કે અભ્યાસ છોડી દીધેલા બાળકોને શોધીને તેમને આ પ્રોગ્રામમાં જોડવામાં આવે છે. આ બાળકોના શિક્ષણનો મુખ્ય હેતુ તેમને મુખ્ય પ્રવાહના શિક્ષણ સાથે જોડવાનો છે. ઉંમર પ્રમાણે તેને જે તે ધોરણમાં નિયમિત પ્રવેશ આપવામાં આવે છે. આ રીતે, પાકિસ્તાનથી આવેલા બાળકો માત્ર આશરો જ નહીં, પણ ભારતમાં પોતાના શિક્ષણ અને ભવિષ્ય માટે એક મજબૂત પાયો નાખી રહ્યા છે. હાલમાં મહેસાણા જિલ્લામાં આ STPના વર્ગો થકી 132 બાળકો લાભ લઈ રહ્યા છે, જેમાં પાકિસ્તાની બાળકો પણ સામેલ છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી શરદ ત્રિવેદીએ જણાવ્યું કે, આપણે દર વખતે સમગ્ર શિક્ષા દ્વારા સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ કરી અને વર્ગો ચલાવતા હોઈએ છીએ. જે વર્ગો દ્વારા શાળા બહારના બાળકો કે કોઈ કારણસર શાળાએ જઈ શક્યા નથી, સ્થળાંતરના કારણે કે અન્ય કોઈ કારણસર એવા બાળકો કે જે મુખ્ય પ્રવાહના શિક્ષણથી વંચિત છે, એવા બાળકો માટે આપણે મુખ્ય પ્રવાહમાં ફરીથી જોડાઈ શકે અને ભારત સરકારના મફત અને ફરજિયાત શિક્ષણનો લાભ લઈ શકે તે હેતુથી આવા STP વર્ગો આપણે નવ મહિના ચલાવતા હોઈએ છીએ. અને જેના આધારે બાળકોને મેઈન સ્ટ્રીમમાં લાવવા માટે પરીક્ષા લઈ અને પછી મેઈન સ્ટ્રીમમાં લાવતા હોઈએ છીએ. આ આખી પ્રોસેસમાં એવું હોય છે કે, જો આજુબાજુના વિસ્તારમાં સર્વે કરવાના કારણે શાળાએ ન ગયેલા બાળકો અથવા તો કોઈ કારણસર અધ્વચ્ચે અભ્યાસ છોડી દીધો હોય, એવા બાળકો મળી આવે તો એવા બાળકો માટે સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે. કારણ કે, એ વ્યવસ્થિત પદ્ધતિસરનું શિક્ષણ એમણે મેળવેલું હોતું નથી તો એમને પદ્ધતિસરનું શિક્ષણ આપવામાં આવે છે. ત્યારબાદ એમની પરીક્ષા લઈ અને એ જે તે ધોરણની અંદર એમની વય કક્ષા પ્રમાણે મૂકવામાં આવતા હોય છે. સરકારનો અભિગમ છે અને ઘણા સમયથી ચાલે છે. અત્યારે આપણે ત્યાં મહેસાણાની 13 વર્ગો ચાલી રહ્યા છે અને 132 બાળકો એનો લાભ લઈ રહ્યા છે. પાકિસ્તાનથી આવેલા બાળકો ગુજરાતી ભણી વાંચતા-લખતા થયાવણકર ભારતીબેને જણાવ્યું કે, લાખવડ શાળામાં STP વર્ગો ચાલે છે એ વર્ગો હું ચલાઉ છું. જે લોન્ગ ટર્મ વિઝા પર પાકિસ્તાનથી આવેલા છે, એવા બાળકોનું ભણતર બગડે નહિ એ માટે આ શાળામાં બેસાડવામાં આવે છે. એવા બાળકોને હું એક વર્ષ ભણાઉ છું પછી જેમ તૈયાર થાય એ પ્રમાણે જેતે વર્ગમાં મુકવામાં આવે છે. મારા વર્ગમાં 16 બાળકો છે. બીજા બાળકો 50 જેટલા છે એમનું પણ ભણતરના બગડે એટલે શાળાના આચાર્ય એમને ભણવા બેસવા દે છે. આ બાળકો ત્રીજાથી આઠમા ધોરણ સુધીના હોઈ છે. પાકિસ્તાનમાં થોડું ભણેલા હોઇ અમુક બાળકો શાળાએ ગયા નથી, તેવા બાળકોને ગુજરાતી આવડતું નથી, પરંતુ અહીંયા તેઓને બધું શીખવાડવામાં આવે છે. આવા બાળકોને ભણવામાં પણ વધારે રસ હોવાનું જોવા મળે છે, જેથી કરીને તેઓ ગુજરાતી ભણી શકે છે, વાંચી-લખી પણ શકે છે. મહેસાણા જિલ્લાનો આ સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે કે શિક્ષણ માત્ર અધિકાર જ નથી, પણ એક નવું જીવન શરૂ કરવાની ચાવી પણ છે. સરહદોની પારથી આવેલા હોય કે પછી સ્થાનિક સ્તરે શિક્ષણથી વંચિત હોય, આ પ્રોગ્રામ થકી દરેક બાળકને સમાન તક મળી રહી છે. લાખવડમાં પાકિસ્તાની બાળકોનું ગુજરાતી ભણવું અને સ્થાનિક બાળકો સાથે ભળી જવું, એ જ દર્શાવે છે કે જ્ઞાનની કોઈ સીમા નથી હોતી. આ જ્ઞાન તેમને આવતીકાલના મુખ્ય પ્રવાહના નાગરિક બનાવવામાં મદદરૂપ થશે.
એસ.પી.રિંગ રોડ પર આવેલા ચંચળબા પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં આવીને અજાણ્યા શખસે હાથ સાફ કર્યો છે. ગઈકાલે મનિષાબેન પંચાલ તેમના ભાઈના દીકરાના લગ્નમાં ગયા હતા. લગ્ન પ્રસંગમાં પાર્ટી પ્લોટમાં સોફા પર સોનાના દાગીના અને રોકડ સાથેનું પર્સ મૂક્યું હતું. તે દરમિયાન અજાણ્યો શખસ લગ્ન પ્રસંગમાં આવીને સોફા પર મૂકેલું પર્સ લઈને ફરાર થઈ ગયો હતો. 3 લાખથી વધુના સોનાના દાગીના સહિત 4.34 લાખની ચોરી થતા સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. લગ્ન પ્રસંગમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યોલગ્ન પ્રસંગ આવતા તસ્કરો એક્ટિવ થઈ ગયા છે અને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ફરિયાદી મનિષાબેન પંચાલ પરિવાર સાથે ઘોડાસર વિસ્તારમાં રહે છે. ગઈકાલે મનિષાબેન પંચાલના ભાઈના દીકરાના લગ્ન હતા. જેથી, લગ્ન પ્રસંગનું આયોજન એસ.પી. રીંગ રોડ પર આવેલા ચંચળબા પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યું હતું. જેના માટે મનિષાબેન પરિવાર સાથે ગયા હતા. લગ્ન પ્રસંગ હોવાથી સોનાના દાગીના અને રોકડ રૂપિયા પણ હતા. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરીસોનાના દાગીના અને રોકડ રૂપિયા એક પર્સમાં રાખવામાં આવ્યા હતા. જે લગ્નમાં એક સોફા પર રાખવામાં આવ્યું હતું પરંતુ, કામ હોવાથી પર્સ સાથે લઈ જવાનું ભૂલી ગયા હતા. થોડા સમય બાદ પર્સ લેવા માટે આવતા તે સોફા પર મળી આવેલ નહતું. જેથી આસપાસમાં શોધખોળ પણ કરવામાં આવી હતી પરંતુ, મળી ન આવતા કોઈક અજાણ્યો શખસ ચોરી કરી ગયો હોવાનું સામે આવ્યું હતું. પર્સમાં 3 લાખથી વધુના સોનાના દાગીના સહિત 4.34 લાખની વસ્તુઓ હતી તેની પણ ચોરી થઈ ગઈ હતી. જેથી ફરિયાદીએ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
સાબરકાંઠામાં ભાજપની મતદાર યાદી સુધારણા ડ્રાઇવ:ધારાસભ્યો-સાંસદ બૂથ પર, મતદારોને ફોર્મ ભરવામાં મદદ કરી
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા વિશેષ ડ્રાઇવ યોજાઈ હતી. આ ડ્રાઇવમાં ભાજપના ધારાસભ્યો અને સાંસદ સહિતના નેતાઓ મતદાન બૂથ પર પહોંચ્યા હતા. તેમણે કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો અને કામગીરીની સમીક્ષા કરી હતી. આ કાર્યક્રમ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ચાલી રહ્યો છે, જેમાં શનિવાર અને રવિવાર ખાસ મતદાર યાદી સુધારણા દિવસો તરીકે ઉજવાયા હતા. રવિવારે સવારથી જ બૂથ લેવલ ઓફિસરો (BLO) મતદાન મથકો પર હાજર રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના કુલ 1282 મતદાન મથકો પર BLO, સહાયકો અને અન્ય સરકારી કર્મચારીઓ મતદારોને મદદ કરી રહ્યા છે. ભાજપની આ ડ્રાઇવમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, સાબરકાંઠા અને અરવલ્લીના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો જિલ્લા અને વિધાનસભાના મતદાન મથકોએ પહોંચ્યા હતા. ભાજપના કાર્યકરો પણ BLOની મદદમાં જોડાયા હતા અને મતદારોને ફોર્મ ભરવામાં તથા પરત લાવવામાં સહાય કરી હતી. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ હિંમતનગરના વોર્ડ નંબર-6 માં આવેલા બૂથ નંબર-125 અને 126ની મુલાકાત લીધી હતી. તેમણે SIR કામગીરીની સમીક્ષા કરી હતી અને આ બૂથ પર 95 ટકા કામગીરી પૂર્ણ થવા બદલ તમામ હોદ્દેદારો અને BLOને અભિનંદન પાઠવ્યા હતા. આ મુલાકાત દરમિયાન શહેર પ્રમુખ કુલદીપ પાઠક, મહામંત્રી ભવરસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ સવજી ભાટી અને વાસુદેવ રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ધારાસભ્ય ઝાલાએ હિંમતનગરના બળવંતપુરા વિસ્તારમાં સમાવિષ્ટ બૂથ નંબર-145, 146, 147 અને 148 પર ચાલી રહેલી સ્પેશિયલ ડ્રાઇવ કામગીરીની પણ સમીક્ષા કરી હતી. અહીં 90 ટકા કામગીરી પૂર્ણ થતાં તેમણે BLO, BLA સહિતની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે અતુલ દીક્ષિત, સવજી ભાટી, ભવરસિંહ ચૌહાણ, પ્રફુલ કાથાવાલા, કનુ રાવલ, રશ્મિકાંત પંડ્યા અને નટુ ઓઝા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેમણે હિંમતનગર સ્થિત મહાવીરનગર વિસ્તારના બૂથ નંબર-76 અને 100ની પણ મુલાકાત લીધી હતી. અહીં તેમણે સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત કામગીરીની સમીક્ષા કરી અને હોદ્દેદારોને મતદારોને મદદરૂપ થવા માટે પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, સવજી ભાટી, ભવરસિંહ ચૌહાણ અને મિલન શાહ ઉપસ્થિત રહ્યા હતા.
બનાસકાંઠામાં રવિ સિઝન માટે યુરિયાનો પૂરતો જથ્થો:ખેડૂતોને સંતુલિત ખાતર વ્યવસ્થા અપનાવવા અપીલ કરાઈ
ચાલુ રવિ સિઝન માટે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂત ભાઈઓ માટે ખાતરનો પૂરતો અને સુલભ પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. હાલ જિલ્લામાં ડીસા રેક પોઈન્ટ પર ઇફકો કંપનીનું 3000 મેટ્રિક ટન, આઈપીએલ કંપનીનું 2000 મેટ્રિક ટન તથા જીએસએફસી કંપનીનું 600 મેટ્રિક ટન યુરિયા ખાતર ઉપલબ્ધ છે. આ ઉપલબ્ધ યુરિયા ખાતરનું પ્રત્યેક તાલુકામાં ઝડપથી સપ્રમાણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં પણ બનાસકાંઠામાં વધારાનું 5000 મેટ્રિક ટન ખાતર ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગ તરફથી ખેડૂત ભાઈઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે, યુરિયા ખાતરનો ખોટો સંગ્રહ કે વધુ પ્રમાણમાં ખરીદી ન કરવામાં આવે. વધુ પડતા યુરિયા ખાતરનો ઉપયોગ જમીનના સ્વાસ્થ્ય તથા માનવ સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક સાબિત થાય છે. યુરિયા સિવાય નાઈટ્રોજન માટેના વિકલ્પ રૂપે એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ, નાઇટ્રો ફોસ્ફેટ, PROM, NPK, NPK Consortia, વોટર સોલ્યુબલ ખાતર તેમજ NANO Urea જેવા ખાતરો પણ બજારમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. જિલ્લા ખેતીવાડી અધિકારી મયુર પટેલ દ્વારા ખેડૂત મિત્રોને જરૂરિયાત મુજબ જ અધિકૃત વિક્રેતા પાસેથી ખાતર ખરીદીને સંતુલિત ખાતર વ્યવસ્થા અપનાવવા અપીલ કરાઈ છે.
બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરના અટલાદરા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આજે વિરાટ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 992 હરિભક્તોએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાનથી આશરે 3.50 લાખ સીસી રક્ત એકત્ર થયું છે, જેનો ઉપયોગ દર્દીઓને જીવનદાન આપવામાં થશે. આ મહાદાન રક્તદાન યજ્ઞનો પ્રારંભ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય નારાયણમુનિ સ્વામીના વરદ હસ્તે થયો હતો. સૌથી પહેલાં સંસ્થાના 15થી વધુ પૂજ્ય સંતોએ પોતે રક્તદાન કરીને અન્ય ભક્તોને પ્રેરણા આપી હતી. વડોદરા શહેરના વિવિધ વિસ્તાર પ્રમાણે ભક્તોને રક્તદાન કરવા માટે સ્લોટ નક્કી કરવામાં આવ્યા હતા, જેથી રક્તદાન કેન્દ્ર પર ભીડ ન થાય અને દરેકને સરળતાથી રક્તદાન કરવાની તક મળે. આ રક્તદાન યજ્ઞ બીએપીએસ સંસ્થાના વડા પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો. મહંત સ્વામી મહારાજનો જન્મ મહોત્સવ આગામી 2 ફેબ્રુઆરી 2026ના રોજ વડોદરામાં ધામધૂમથી ઊજવાશે, તે પૂર્વે ત્રણ મહિના સુધી વિવિધ સમાજસેવાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અટલાદરા BAPS મંદિરના સંત વિવેકનિષ્ઠ સ્વામીએ જણાવ્યું હતું કે, પરોપકાર એ જ સંતોનું સાચું કાર્ય છે. આજે અહીં આપ સૌ મૂર્તિમાન સ્વરૂપે જોઈ રહ્યા છો કે, સંતો પોતે રક્તદાન કરી રહ્યા છે. મહંત સ્વામી મહારાજની જન્મજયંતી નિમિત્તે આવનારા તમામ કાર્યક્રમોમાં હરિભક્તો પધારે અને આ પવિત્ર લાભ લે, એ જ અમારી વિનંતી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હંમેશા સંતોનું કાર્ય છે પરોપકાર કરવાનું છે. परोपकाराय सतां विभूतयः અહીંયા આપણને મૂર્તિમાન દેખાય છે. કોઈનો પણ જીવ આનાથી બચતો હોય, કોઈને લાભ થતો હોય, તો બહુ મોટો ઉપકાર થયો ગણાય. હંમેશા જ્યારે કંઈ સમાજસેવાની પ્રવૃત્તિ આવે છે, બીએપીએસ સંસ્થા હંમેશા અગ્રેસર હોય છે. હમણાં થોડાક દિવસો પૂર્વે જ ગ્રામ્ય વિસ્તારની અંદર વૃક્ષારોપણ અભિયાનનો પણ પ્રારંભ થયો હતો. આવા ઘણા બધા આયોજનો મહંત સ્વામી મહારાજની જન્મજયંતી સુધી થવાના છે. આપણે પણ ખાસ મહંત સ્વામી મહારાજનો વિશેષ મહિમા આપણે સમજીએ, તેમના જન્મજયંતી નિમિત્તે લાભ પ્રાપ્ત કરવા માટે અવશ્ય પધારીએ તેવી આપ સૌને વિનંતી છે. BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલનાCEO ડૉ. સમીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, મહંત સ્વામી મહારાજ પ્રત્યેનું ઋણ અદા કરવાનો આ નાનકડો પ્રયત્ન છે. એક વ્યક્તિનું રક્તદાન ત્રણ જીવ બચાવી શકે છે. રક્તકણો, શ્વેતકણો અને પ્લાઝમા – એ રીતે ત્રણ જીવનને નવજીવન મળે છે. આજે ૯૯૨થી વધુ ભક્તોએ રક્તદાન કર્યું છે. ત્રણ મોટી બ્લડ બેંક્સ તથા HDFC બેંકનો સહયોગ પણ અમને મળ્યો છે. આવા કાર્યો દ્વારા મહંત સ્વામી મહારાજનો સંદેશ વધુ ને વધુ લોકો સુધી પહોંચે એ જ અમારી ઈચ્છા છે.
ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત રાજ્ય સરકારના વિવિધ મંત્રીઓ અને હોદ્દેદારો અલગ અલગ મતવિસ્તારમાં બુથો અને સોસાયટીઓમાં જઈને SIR કામગીરીમાં મદદ અને નિરીક્ષણ કરવા પહોંચ્યા હતાં. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નિકોલ વિધાનસભા વિસ્તારમાં ઓઢવ ખાતે આવેલા ગોકુલ નગરમાં બુથ પર પહોંચ્યા હતા જ્યાં તેઓએ રોડ પર બેસીને કાર્યકર્તાના ઘરની કાંસાની તાસણીમાં ચાની ચુસકી પણ લીધી હતી. પ્રદેશ પ્રમુખ ઇન્દ્રપુરી અને ઓઢવ વિસ્તારમાં પણ આવેલી સોસાયટીઓમાં ગયા હતા સાંજે ગોમતીપુર અને જમાલપુર વિસ્તારના બુથો પર જશે. 'નાગરિકોને ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય તો તેને બૂથ પ્રમુખો મદદ કરે'શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે જણાવ્યું હતું કે, સરકારના મંત્રી અને સંગઠના લોકો SIR કામગીરી મદદ કરવા આજે વિવિધ વિસ્તારમાં ગયા છે. બીએલઓ સાથે ભાજપના બીએલઓ - 2 કાર્યકર્તા જશે. સ્થાનિકો સાથે ફોર્મ ભરવાની કામગીરી કરે છે. જે પણ નાગરિકોને ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય તો તેને બૂથ પ્રમુખો મદદ કરે તેના માટેની પણ સૂચના આપી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા SIR કામગીરીના નિરીક્ષણ માટે આજે 23 નવેમ્બરના રોજ નિકોલ વિધાનસભામાં ઓઢવ ખાતે આવ્યા હતા. ઓઢવ, વિરાટનગર ઇન્દ્રપુરી સહિતના વિસ્તારોની સોસાયટીના બૂથમાં ફરી SIRની કામગીરી અંતર્ગત ફોર્મ ભરવામાં આવ્યા છે કે કેમ વગેરે અંગેની તપાસ કરી હતી. 'આપઘાત મુદે ચૂંટણી પંચ જવાબ આપશે'રાજ્યમાં ચૂંટણીપંચ દ્વારા SIRની કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત શિક્ષકોને બુથ લેવલ ઓફિસર (BLO)ની કામગીરી સોંપવામાં આવી છે જેમાં રાજ્યના અલગ અલગ શહેરોમાં આપઘાત અને મોત થઈ રહ્યા છે ત્યારે BLOના આપઘાત મુદે પ્રેરક શાહે જવાબ આપવાનું ટાળ્યું હતું. તેઓએ કહ્યું હતું કે આ કામગીરી કેન્દ્રીય ચૂંટણી પંચ જૂએ છે. આપઘાત મુદે ચૂંટણી પંચ જવાબ આપશે. કોંગ્રેસ નકારાત્મક રાજનીતી કરે છે. ભાજપ પ્રદેશ પ્રમુખ ઓઢવમાં SIR કામગીરીનું નિરીક્ષણ કર્યુંગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે સવારે નિકોલ વિધાનસભા વિસ્તારમાં ઓઢવ વોર્ડમાં આવેલા ગોકુલનગર ખાતે SIR કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. ઓઢવના ભૂતપ્રમુખ અને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ વગેરેને મળ્યા હતા અને તેમના મતવિસ્તારમાં જેટલા પણ નાગરિકો છે તેમના SIR અંતર્ગત ફોર્મ ભરાઈ ગયા છે કે કેમ તે અંગેની માહિતી મેળવી હતી. કાર્યકર્તાના ઘરની બહાર બેસીને તેઓએ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે રબારી સમાજની પરંપરાગત કાંસાની તાસણીમાં ચાની ચુસકી પણ માણી હતી. 'મતદાર યાદીમાં નામ રહી ના જાય તેના માટે દરેક લોકો આ ફોર્મ જમા કરાવે'જગદીશ વિશ્વકર્માએ સ્થાનિક લોકોને જણાવ્યું હતું કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. દરેક લોકોનો મતદાર યાદીમાં નામ રહી ના જાય તેના માટે દરેક લોકો આ ફોર્મ જમા કરાવે. સોસાયટીમાં કોઈપણ નાગરિક રહી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવા માટેની પણ જણાવ્યું હતું. જે લોકો અન્ય પ્રાંતમાંથી પણ અહીંયા આવ્યા છે તે લોકોના ફોર્મ પણ જમા કરાવડાવે નહીં તો એક જ જગ્યાએ બે નામ ચાલશે જેથી સોસાયટીમાં કોઈપણ વ્યક્તિ રહી ના જાય તેનું ખાસ ધ્યાન રાખી અને ફોર્મ ભરાવવા માટે જણાવ્યું હતું. 'એક જ જગ્યાએ એક જ વ્યક્તિ મતદાન કરે તે પ્રકારની વ્યવસ્થા કરાશે'વિરાટ નગર ખાતે આવેલ લીંબુવાડી પાસેના કૈલાસ ગામ રો હાઉસ ખાતે પણ જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા હતા, જ્યાં તેઓ દ્વારા સ્થાનિક સોસાયટીના લોકોને મળ્યા હતા અને તમામ લોકોએ ફોર્મ જમા કરાવ્યું છે કે નહીં તે અંગે પૂછ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે અનેક લોકો પોતાનું ઘર બદલી દે છે છતાં પણ તેમનું નામ દૂર કરતા નથી. SIRની કામગીરીમાં એક જ જગ્યાએ એક જ વ્યક્તિ મતદાન કરે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલાક વોર્ડમાં હું ફર્યો છું અને જ્યાં જોયું છે કે મતદાર વોર્ડમાં રહેતો નથી અને ગુનેગાર છતાં નામ ચાલતું હોય છે. અનેક ઘૂસણખોરો મતદાનમાં પણ ખુશી ગયા છે જેથી તેમને દૂર કરવા જરૂરી છે દરેક લોકો પોતાનું ફોર્મ જમા કરાવે અને કોઈપણ તકલીફ હોય તો બુથ પ્રમુખને જાણ કરે જેનાથી ફોર્મ ભરવામાં સરળતા રહેશે. સોસાયટીઓના બુથ પર જઈ અને SIRની કામગીરીનું નિરીક્ષણ કર્યું ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા સવારે ઓઢવ, ઇન્દ્રપુરી અને વિરાટનગર ખાતે સોસાયટીઓના બુથ પર જઈ અને SIRની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેઓની સાથે શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, મહામંત્રી પરેશ લાખાણી, શહેર હોદ્દેદાર સત્યમ પટેલ, ખોખરા કોર્પોરેટર કમલેશ પટેલ અને સ્થાનિક કોર્પોરેટરો હાજર રહ્યા હતા. સાંજે ગોમતીપુર, દાણીલીમડા, બહેરામપુરા અને ખાડીયા મતવિસ્તારમાં આવેલા બુથોમાં જઈને SIRની કામગીરીનું નિરીક્ષણ કરશે
વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે 'યુનિટી માર્ચ' પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશની એકતામાં સરદાર પટેલના યોગદાનને યાદ કરવા અને લોકોને એકતાના સંદેશ સાથે જોડવા આ યાત્રા યોજાઈ હતી. ઉમરગામ ભાજપ દ્વારા શહેરના ગાંધીવાડીથી ગાંધી સદન સુધી આ માર્ચનું આયોજન કરાયું હતું. વલસાડના સાંસદ ધવલ પટેલ અને ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરના અધ્યક્ષ સ્થાને આ એકતા રન યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા. પદયાત્રા પહેલાં ઉમરગામ શહેરના ગાંધીવાડી ખાતે એક જાહેર સભા યોજાઈ હતી, જેમાં ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાના દંડક ધવલ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને ધારાસભ્ય રમણલાલ પાટકર સહિતના અગ્રણીઓએ લીલી ઝંડી બતાવી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમગ્ર યાત્રામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. સમગ્ર યાત્રા દરમિયાન 'ભારત માતા કી જય' અને 'જય સરદાર' ના નાદ સાથે નાનાપોંઢાના મુખ્ય માર્ગો ગુંજી ઉઠ્યા હતા. કાર્યક્રમમાં સાંસદ ધવલ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિતના અગ્રણીઓએ સરદાર વલ્લભભાઈ પટેલે દેશના ઘડતર માટે આપેલા મહત્ત્વના યોગદાનો વિશે લોકોને માહિતગાર કર્યા હતા. સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ 'યુનિટી માર્ચ' માં વલસાડ જિલ્લાના લોકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. આ પદયાત્રાએ એકતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ ફેલાવીને ઉમરગામ શહેરના ગાંધીવાડીથી ગાંધી સદન સુધીના માર્ગને ગુંજતો કર્યો હતો.
અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારના બિલ્ડિંગ માફિયા સામે ગેરકાયદેસર અને નીચી ગુણવતાવાળું બાંધકામ ઊભું કર્યું હતું.AMC દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસે ગુનો નોધી AMC સાથે મળીને ગેરકાયદેસર બાંધકામ તોડી નાખ્યું હતું.પોલીસે આરોપી વિરુદ્ધ તપાસ પણ શરૂ કરી છે. AMC કે આર્કિયોલોજી વિભાગની મંજૂરી વગર 6 માળની ઇમારત ખડકી દેવાઈગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વસંત રજબ પોલીસ ચોકી નજીક આવેલ રહેણાંક ફલેટ વર્ષ 2023માં 6 માળના ફલેટ બનાવવામાં આવ્યા હતા.જેને પગલે AMC એ ગેરકાયદેસર બાંધકામને લઈ ને 6 નોટિસ આપી હતી તેમ છતાં બિલ્ડર દ્વારા બાંધકામ દૂર કર્યું ન હતું.ત્યારે AMC અને ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા 5 હજાર 900 ચોરસ મીટર બાંધકામ તોડી પાડ્યું હતું. બિલ્ડર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવીગાયકવાડ હવેલી પોલીસે જમાલપુરના બિલ્ડર માફિયા તૌસિફ કાદરી અને ફારૂક અબ્દુલકાદર સામે ફરિયાદ પણ નોંધીને ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.ત્યારે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ફ્લેટ AMCની પરવાનગી વગર બનાવ્યા હતા.બિલ્ડિંગ સાથે જ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તાર મોન્યુમેન્ટ વિસ્તારમાં આવે છે જેની પણ મંજૂરી વગર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું.પોલીસે આ મામલે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
ગોધરામાં પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા 'બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ' અંતર્ગત 'શાંતિ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાને ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના મુખ્ય સેવાકેન્દ્ર સંચાલિકા રાજયોગિની બી.કે. સુરેખા દીદીએ જણાવ્યું હતું કે, પ્રત્યેક માનવના અંતરમનની ચાહના શાંતિ છે. વ્યક્તિના જીવનમાં શાંતિ જ સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વર્તમાન અશાંતિભર્યા વિશ્વમાં આપણે સ્વયં શાંતમૂર્ત રહીને શાંતિના વાયબ્રેશન ચારેકોર ફેલાવીએ, એ જ વર્તમાન સમયની માંગ છે. વ્યક્તિથી લઈને વિશ્વમાં શાંતિનો સંદેશ આપવાના શુભ ઉદ્દેશ્ય સાથે સમગ્ર ગુજરાતમાં બ્રહ્માકુમારીઝના 500 સેવા કેન્દ્રો અને 5000 પાઠશાળા દ્વારા એક જ દિવસે અને એક જ સમયે આ પ્રકારની શાંતિ યાત્રાઓનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૭:૦૦ કલાકે બ્રહ્માકુમારીઝ પ્રભારોડ સેન્ટર રાજઋષિ ભવન ખાતેથી શરૂ થયેલી આ યાત્રામાં લાલબાગ મંદિરના મહંત દિલીપભાઈ પણ ખાસ જોડાયા હતા. આ યાત્રા ચર્ચ રોડ, સિવિલ હોસ્પિટલ, વિશ્વકર્મા ચોક, કલાલ દરવાજા, લાલબાગ મંદિર, પોલીસ હેડક્વાર્ટર અને શાંતિ નિવાસ સોસાયટી થઈને પરત પ્રભારોડ કેન્દ્ર ખાતે પૂર્ણ થઈ હતી. સમગ્ર યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભાઈ-બહેનોએ ઉમંગભેર જોડાઈને શાંતિ મંત્રોના ઉચ્ચારણ સાથે નગરજનોને શાંતિનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે બી.કે. સુરેખા દીદીના માર્ગદર્શન હેઠળ બી.કે. શૈલેષભાઈ, બી.કે. કનુભાઈ, બી.કે. મહેન્દ્રભાઈ, બી.કે. પંકજભાઈ, માહિતી કચેરીના સેવાનિવૃત્ત બી.કે. કોકિલાબેન તેમજ અન્ય બ્રહ્મકુમારી બહેનોએ જહેમત ઉઠાવી હતી.
અમદાવાદમાં સોલા બ્રિજ પરની રેલ્વે ટ્રેક પર પરિણીતાએ ત્રણ વર્ષના પુત્ર સાથે પડતું મૂકીને આપઘાત કરી લીધો છે.પરિણીતાએ પતિ અને સાસુ સસરાના ત્રાસથી કંટાળીને દીકરા સાથે આપઘાત કરી લીધો છે.પરિણીતાના ભાઈના લગ્ન હતા ત્યારે લગ્નમાં પણ જવા દીધી નહોતી.વારંવાર માનસિક અને શારીરિક ત્રાસ આપતા પરિણીતાએ કંટાળીને આપઘાત કરી લીધો છે.આ અંગે બોડકદેવ પોલીસે પતિ અને સાસુ,સસરા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સાસરિયાઓના ત્રાસના કારણે અંતિમ પગલું ભર્યું વિરમગામમાં રહેતા અંબારામભાઈ સોલંકીએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2016માં તેમની દીકરી મીતાના હસમુખ મકવાણા નામના યુવક સાથે લગ્ન કરાવ્યા હતા.હસમુખ સોલા બ્રિજ નીચે છાપરામાં રહે છે.હસમુખ અને મિતાને ત્રણ વર્ષનો એક બાળક પણ છે.લગ્ન થયા ત્યારથી હસમુખ મીતા ઉપર શક રાખીને મારઝૂડ કરતો અને ત્રાસ પણ આપતો હતો.હસમુખના માતા શારદાબેન અને પિતા કનુભાઈ પણ મિતાને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા.દોઢ વર્ષ પહેલાં મીતાના ભાઈના લગ્ન હતા જેમાં સાસરીયોએ જવા દીધી નહોતી અને કહ્યું હતું કે જો તારે તારા ભાઈના લગ્નમાં જવું હોય તો તું મરી જજે પરંતુ અમારા ઘરે પાછી ન આવતી જેથી મીતા લગ્નમાં ગઈ નહોતી. પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદત્યારબાદ પણ અવારનવાર ત્રણે જણા મળીને મિતાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.મીતા તેના પિયરમાં પણ ગઈ હતી ત્યારે તેના પિતાએ તેને પૂછ્યું ત્યારે મિતાએ જણાવ્યું હતું કે સાસુ સસરા સતત ત્રાસ આપે છે અને કહે છે કે અમારે તો જોઈતી નથી તું મરી જા. આમકંટાળીને મિતાએ 21 નવેમ્બરે સવારે 9:30 વાગે સોલા બ્રિજ પાસેના રેલ્વે ટ્રેક પર 3 વર્ષના પુત્ર સાથે પડતું મૂકીને આપઘાત કરી લીધો છે.બોડકદેવ પોલીસે મિતાના આપઘાત માટે જવાબદાર તેના પતિ હસમુખ,સાસુ શારદા અને સસરા કનુ વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
દહેગામ રોડ ઉપર આવેલા સોલંકીપુરા ગામ નજીક આજે ઝાડ ટ્રીમિંગની કામગીરી દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ટ્રકના ચાલકે બેફામ ગતિએ આવીને પહેલા એક બાઇકને અડફેટે લીધું અને ત્યારબાદ કાબૂ ગુમાવીને બે બસોને ટકકર મારી હતી. આ ટક્કરના કારણે મોડાસા રૂટની બસ પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં 40 જેટલા મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો હતો. જોકે સ્થાનિકોએ સમયસૂચકતા વાપરી તમામ મુસાફરોને બસની બહાર કાઢી લીધા હતા. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસનો દોર હાથ ધર્યો છે. બાઈકચાલક ઓવરટેક કરવા જતાં ડમ્પરની અડફેટે ચડ્યોપ્રાપ્ત વિગતો મુજબ, દહેગામ-મોડાસા રૂટ પર સોલંકીપુરા ગામ નજીક સિંગલ પટ્ટી રોડ પર ઝાડ ટ્રીમિંગનું કામ ચાલી રહ્યું હતું. આ કામગીરીને કારણે રોડ પર ટ્રાફિક ધીમો પડતાં બે બસો ઊભી રહી હતી. આ દરમિયાન એક બાઇક ચાલકે ઉતાવળમાં ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર ટ્રકે પહેલા ઓવરટેક કરી રહેલા બાઇકને અડફેટે લીધું હતું. અકસ્માતના પગલે મુસાફરો ભરેલી બસ પલટી ખાઈ ગઈબાઇકને ટક્કર માર્યા બાદ ડમ્પરના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ સંપૂર્ણપણે ગુમાવી દીધો હતો. જેના લીધે ડમ્પરે રોડ સાઇડ ઊભેલી બે બસોને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે મોડાસા રૂટની મુસાફરોથી ભરેલી બસ પલટી ખાઈને રોડની બાજુમાં પડી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યાઆ અકસ્માતના પગલે મુસાફરોની ચીસાચીસથી માહોલ ગુંજી ઊઠ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઝડપથી બસમાં ફસાયેલા તમામ મુસાફરોને બહાર કાઢીને તેમનો જીવ બચાવ્યો હતો. આ અકસ્માતમાં મોટાભાગના મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તોને જરૂરી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાબીજી તરફ અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને જરૂરી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારે દહેગામ પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. 7 લોકોને પગ, નાક, છાતી અને કમરના ભાગે ઈજાઓઆ અંગે પોલીસે કહ્યું કે, દહેગામ રોડ પર સર્જાયેલી દુર્ઘટનામાં હાલુસિંહ બાબુસિંહ ઝાલા, જીતુભાઈ બી. પંડ્યા, યસ્મીનબાનુ, રહીમખાન અબ્દુલ પઠાણ, કૌશલ્યાબેન વેલજીભાઈ રોહિત, જ્યોતિબેન ચુનારા અને રસિકભાઈ ચુનારાને પગ, નાક, છાતી અને કમરના ભાગે ઈજાઓ પહોંચી છે. તમામને 108 દ્વારા સારવાર માટે ખસેડાયા છે. મોટાભાગના મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે, જ્યારે કેટલાકને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ અકસ્માત અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં વટવા જીઆઇડીસી વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં યુવકે પોતાની પ્રેમિકાના ભાઈની હત્યા કરી દીધી છે.પ્રેમી પ્રેમિકાને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો.જેને લઇને પ્રેમિકાનો ભાઈ પ્રેમીને સમજાવવા માટે ગયો હતો.આ દરમિયાન બંને વચ્ચે તકરારથી થતા પ્રેમીએ પ્રેમિકાના ભાઈને તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારી દીધો છે.આ અંગે વટવા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપી યુવક લગ્ન માટે દબાણ કરી યુવતીને પરેશાન કરતો હતોહાથીજણ સર્કલ પાસે રહેતી મોનિકા સુથારે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેને અસારવામાં રહેતા અશ્વિન ઝાલા સાથે પ્રેમસંબંધ હતો.બંને વચ્ચે વાતચીત થતી અને મળતા પણ હતા.પરંતુ મોનિકાના ઘરે ખબર પડતા પરિવાર સાથે તેઓ નારોલથી હાથીજણ રહેવા જતા રહ્યા હતા.ગઈકાલે રાત્રે મોનિકા તેના ફ્લેટની બહાર ચાલવા નીકળી હતી ત્યારે અશ્વિન બાઇક લઈને આવ્યો હતો.અશ્વિ મોનિકાની પાછળ પાછળ આવતો હતો.જેથી મોનિકા ત્યાંથી જતી રહી હતી.અશ્વિને મોનિકાને ફોન કરીને કહ્યું હતું કે, 'તું મેરે સે બાત ક્યુ નહી કરતી મે તેરે બીના રહ નહી સકતા. મુજે તુજસે સાદી કરની હૈ, મોનિકાએ અશ્વિનને કહ્યું હતું કે, તુમસે શાદી નહીં કરની તો મુજે ફોન કર કે પરેશાન મત કર.ત્યારે અશ્વિને કહ્યું હતું કે, મેં તેરે બીના રહ નહી શકતા,તું મુજે અભી મિલ જે બાદ મોનિકાએ ફોન કાપી નાખ્યો હતો.મોનિકાના મોટાભાઈ મનીષને અંગે જાણ થઈ હતી.જેથી મનીષ અશ્વિનને સમજાવવા માટે ગયો હતો. સમજાવવા ગયેલા યુવક પર તિક્ષણ હથિયાર વડે હુમલો કરી મોત નિપજાવ્યુંમનીષ ત્રિકમપુરા કેનાલ પાસે અશ્વિનને સમજાવવા ગયો હતો.આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ત્યારે અશ્વિને તીક્ષ્ણ હથિયાર વડે મનીષને માર મારી હત્યા કરી દીધી હતી.મનીષે મોઢા,ગળા અને છાતીના ભાગે મનીષને હથિયારના ઘા માર્યા હતા જેથી મનીષનું સ્થળ પર જ મોત થયું હતું.પરિવારને જાણ થતા મોનિકા અને તેનો પરિવાર ઘટના સ્થળે પહોંચ્યા હતા.આ બનાવ અંગે મોનિકાએ અશ્વિન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં BLOને મુશ્કેલી:બોટાદમાં અપૂરતી માહિતી અને સર્વર ડાઉનથી કામગીરીમાં અવરોધ
ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કામગીરી માટે બોટાદ જિલ્લામાં વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આજે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન વિવિધ મતદાન મથકો પર બૂથ લેવલ ઓફિસરો (BLO) દ્વારા આ કામગીરી કરવામાં આવી. જોકે, આ કામગીરી દરમિયાન BLOને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મતદારો તરફથી અપૂરતી માહિતી, ફોર્મમાં અધૂરી વિગતો અને નેટ સર્વર ડાઉન જેવી સમસ્યાઓને કારણે BLOમાં નારાજગી જોવા મળી હતી. BLOએ જણાવ્યું કે, તેમને મતદારો પાસેથી પૂરી માહિતી મળતી નથી અને ફોર્મ પણ અધૂરા ભરીને આપવામાં આવે છે. નેટ સર્વર ડાઉન રહેવાથી કામગીરીમાં અડચણ ઊભી થાય છે. તેમણે તંત્ર દ્વારા કામગીરીનું દબાણ વધુ હોવાનું પણ જણાવ્યું અને વધુ સમય આપવાની માંગ કરી જેથી તેઓ અસરકારક રીતે કામગીરી પૂર્ણ કરી શકે. આ મુશ્કેલીઓ વચ્ચે, બીજી તરફ મતદારોએ BLOની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે. સ્થાનિક મતદારોએ જણાવ્યું કે, BLOની કામગીરી સારી છે અને તેઓ ફોર્મ ભરવામાં પણ મદદ કરે છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંગના તાલુકા અધ્યક્ષે પણ BLOની મુશ્કેલીઓને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે, મતદારો દ્વારા પૂરી માહિતી ન મળવી અને નેટ સર્વર ડાઉન રહેવું એ BLO માટે મોટી સમસ્યા છે. તેમણે સરકાર દ્વારા BLO માટે અલગ કેડર ઊભી કરવાની પણ માંગ કરી, કારણ કે આ કામગીરી બારે મહિના ચાલતી હોય છે.
વડોદરાના તાંદલજા વિસ્તારમાં વધુ એક સનસનાટીપૂર્ણ ચોકાવનારો બનાવ સામે આવ્યો છે, તાંદલજામાં દફન કરાયેલો એક પુરુષનો મૃતદેહ પાંચમાં દિવસે બહાર કાઢવામાં આવ્યો છે. મોબાઈલની તપાસ કરતા શંકા થઈ હતી. પત્નીએ પતિની હત્યા કરી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. મળતી માહિતી અનુસાર, 18 નવેમ્બરની રાત્રે 15થી 1 વાગ્યા વચ્ચે આ ઘટના બની હતી, જેમાં ઈર્શાદને પહેલા ઊંઘની ગોળીઓ આપીને બેહોશ કરવામાં આવ્યો હતો અને પછીગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હોવાનો પરિવારનો આરોપ છે. જોકે, પરિવારજનોએ આકસ્મિક મોત થયું હોવાનું માનીને 19 નવેમ્બરના રોજ ઇર્શાદની દફનવિધિ પણ કરી દીધી હતી. મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે 32 વર્ષીય ઈર્શાદ વણઝારાની હત્યા તેની પત્ની ગુલબાનુએ મુંબઈ સ્થિત પોતાના મિત્ર તોસિફ અને અન્ય એક શખ્સ સાથે મળીને ષડયંત્ર રચીને કરી હતી. દફનવિધિ બાદ મૃતકના પરિવારને શંકા જતાં તેને પત્ની ગુલબાનુના મોબાઇલ ફોનની તપાસ કરી હતી. આ તપાસમાં તેમને જાણવા મળ્યું કે પત્ની ગુલબાનુએ સતત કોઈ એક જ નંબર પર લાંબા સમય સુધી ફોન કર્યા હતા, જેના કારણે તેમની શંકા વધુ ગાઢ બની હતી. આ શંકાના આધારે, હત્યાની સઘન તપાસ કરવા માટે પોલીસ અને મેજિસ્ટ્રેટની હાજરીમાં 32 વર્ષીય યુવકના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. હાલમાં મૃતદેહને ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે, જેની કાર્યવાહી ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને આગળની તપાસ બાદ જ આ સમગ્ર હત્યાના ષડયંત્રની હકીકત સામે આવશે.
નવસારી નજીકના કાછીયાવાડી ગામમાં ત્રણ દિવસથી દહેશત ફેલાવનાર એક દીપડો આખરે પાંજરે પુરાયો છે. આ ઘટનાથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણ દિવસ પહેલા ગામની પાછળ આવેલા વાડી વિસ્તારમાં ગ્રામજનોએ દીપડાના આંટાફેરા જોયા હતા. દીપડાની હાજરીથી ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના અધિકારીઓએ પરિસ્થિતિની ગંભીરતા પારખીને દીપડાને પકડવા માટે યોગ્ય સ્થળે પાંજરું ગોઠવ્યું હતું. ગત મોડી રાત્રે આશરે બે કલાકે આ દીપડો ગોઠવેલા પાંજરામાં ફસાયો હતો. દીપડો પાંજરે પુરાયાની જાણ થતાં જ વન વિભાગને ફરીથી જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દીપડાનો કબજો લીધો હતો. દીપડાને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ડાંગના જંગલોમાંથી દીપડાઓ શિકારની શોધમાં નવસારી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો તરફ આવવા માંડ્યા છે. અહીં શેરડી અને ડાંગરના ખેતરો, ચીકુ અને આંબાવાડીઓ, નદીઓ અને કોતરો તેમને રહેવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. આ વિસ્તારોમાં શિકાર પણ સરળતાથી મળી રહે છે, જેના કારણે દીપડાઓને ખેતરો અને વાડીઓ માફક આવી રહી છે. નવસારી જિલ્લો ખાસ કરીને તેમને માફક આવી ગયો છે. પૂર્વ પટ્ટીના ગામોમાં ઘણીવાર દીપડાઓ રસ્તાઓ, હાઇવે તેમજ ખેતરો કે ઘરની દિવાલો પર જોવા મળે છે. જંગલમાંથી ખેતરો અને વાડીઓમાં રહેતા શીખેલા આ દીપડાઓ હવે માનવવસ્તી સાથે રહેવાનું શીખી રહ્યા છે. જોકે, ગ્રામ્ય વિસ્તાર પણ હવે દીપડાઓ માટે ટૂંકો પડતા શહેરી વિસ્તાર તરફનું તેમનું સ્થળાંતર ચિંતા ઉપજાવનારું છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રવિવારે 'નશામુક્ત યુવા વિકસિત ભારત' અંતર્ગત 'રન ફોર હેલ્થ' મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા યોજાઈ હતી. હિંમતનગર માર્કેટયાર્ડ ખાતેથી ધારાસભ્ય વી.ડી. ઝાલાએ ફ્લેગ ઓફ કરાવી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, RSS ગાંધીનગર વિભાગ સહ કાર્યવાહ જયેશભાઈ પટેલ, વિશ્વ હિંદુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંતમંત્રી નલીનભાઈ પટેલ, APMC માર્કેટયાર્ડ ચેરમેન જયેશ પટેલ, બજરંગ ઉત્તર ગુજરાત પ્રાંત સંયોજક ભાવિનભાઈ પુરોહિત, વિશ્વ હિંદુ પરિષદ વિભાગ મંત્રી દિપેશભાઇ પટેલ, હિંમતનગર કોચિંગ સેન્ટર એસોસિએશન ઉપપ્રમુખ પારસભાઈ મહેતા, ડૉ. કેવલ પટેલ અને જિલ્લા રમતગમત અધિકારી મહેશભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 'રન ફોર હેલ્થ' મેરાથોન માર્કેટયાર્ડથી શરૂ થઈ ખેડ તસિયા રોડ પર છાપરિયા ચાર રસ્તા અને મહાવીરનગર ચાર રસ્તા થઈને પરત માર્કેટયાર્ડ પહોંચી હતી. આ જાગૃતિ ફેલાવતી દોડમાં યુવાનો, દુર્ગા વાહિનીઓ, ટ્રાઈસિકલ સાથે વિકલાંગો, બ્રહ્માકુમારીઝના ભાઈઓ-બહેનો, SOG બ્રાન્ચના અધિકારીઓ અને પોલીસકર્મીઓ સહિત અનેક શહેરીજનો ઉત્સાહભેર જોડાયા હતા.
ભાવનગર જિલ્લાના બગદાણા ગામના ૫૨ વર્ષીય અતુલભાઈ ચૌહાણ ચોટીલા ચામુંડા માતાજીના દર્શન માટે 192 કિલોમીટરની અનોખી દંડવત યાત્રા પર નીકળ્યા છે. તેઓ માતાજી પ્રત્યેની નિસ્વાર્થ ભક્તિ વ્યક્ત કરવા માટે આ કઠિન યાત્રા કરી રહ્યા છે. અતુલભાઈએ 10નવેમ્બરના રોજ બગદાણા ગામથી આ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. તેમની આ યાત્રા કોઈ માનતા પૂર્ણ કરવા માટે નહીં, પરંતુ માતાજી પ્રત્યેની અડગ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે. આજે તેમની યાત્રાનો ૧૩મો દિવસ હતો. આ દિવસે તેમણે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં પ્રવેશ કર્યો. ગઢાળી ગામે પહોંચતા સ્થાનિક રહેવાસી જુલીભાઈ ગોહિલ દ્વારા તેમની હોટેલમાં અતુલભાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અતુલભાઈની આ તપસ્વી જેવી યાત્રા જોઈને લોકો તેમની શ્રદ્ધા અને હિંમતને બિરદાવી રહ્યા છે. રસ્તામાં આવતા દરેક ગામોમાં પણ લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ચોટીલા ચામુંડા માતાજી પ્રત્યેની તેમની આ અનોખી ભાવયાત્રા સૌનું ધ્યાન ખેંચી રહી છે.
તાજેતરમાં ગાંધીનગરમાં પકડાયેલા આતંકીઓ ,દિલ્હીમાં થયેલા બૉમ્બ ધડાકા સહિત રાજ્યમાં ઝડપાયેલા આતંકીઓની ઘટનાને પગલે ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુનેગારોનો ડેટાબેઝ અપડેટ કરવા માટે તમામ જિલ્લા પોલીસ વડાને છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની વિગતવાર યાદી 100 કલાકમાં તૈયાર કરવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. જે અન્વયે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા ગંભીર ગુનાના 500 આરોપીઓનું વેરીફીકેશન હાથ ધરીને 100 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. 500 આરોપીઓનું વેરીફીકેશન હાથ ધરીને 100 ટકા કામગીરી પૂર્ણગાંધીનગરમાં 8મી નવેમ્બરે ત્રણ આતંકીઓ ઝડપાયા બાદ દિલ્હીમાં કાર બ્લાસ્ટ અને ફરિદાબાદમાં આતંક વિરોધી કાર્યવાહી જેવી ઘટનાઓ સામે આવી હતી. આથી, ગુજરાતમાં આ પ્રકારની પ્રવૃત્તિને મૂળમાંથી ડામવા અને રાષ્ટ્ર વિરોધી તત્ત્વોના નેટવર્કનો ડેટાબેઝ અપડેટ કરવાના ઉદ્દેશ્યથી રાજ્ય પોલીસ વડાએ તમામ શહેર અને જિલ્લા પોલીસ વડાઓને તાત્કાલિક અસરથી એલર્ટ કરીને એક મોટા ડોઝીઅર તૈયાર કરવા માટે 100 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. જેમાં હથિયાર ધારા, NDPS, વિસ્ફોટક સામગ્રી, બનાવટી નોટો, ટાડા, પોટા, UAPA અને MCOCA જેવા ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓનો લેટેસ્ટ ડેઝા બેઝ રેડી કરવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. '100 કલાક'ના અલ્ટિમેટમની અસર, સંપૂર્ણ ડોઝીઅર તૈયારજે અન્વયે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના સુપરવિઝન હેઠળ તાબાના થાણા અધિકારીઓએ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે સંકલન સાધીને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને 100 ટકા કામગીરી પૂર્ણ કરી દીધી છે. છેલ્લા 30 વર્ષમાં જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં પકડાયેલા આરોપીઓની વિગતોનું ચેકિંગ અને વેરિફિકેશન કરીને સંપૂર્ણ ડોઝીઅર તૈયાર કરી દેવાઇ છે. 500 જેટલા ગુનેગારોની યાદી તૈયારજિલ્લા પોલીસે જુદા જુદા પોલીસ મથકોની હદ વિસ્તારમાંથી કુલ 500 જેટલા ગુનેગારોની યાદી તૈયાર કરી તેમની અત્યારની પ્રવૃત્તિઓનું વેરિફિકેશન કર્યું છે.પોલીસ ટીમો દ્વારા આ તમામ આરોપીઓના હાલના સરનામાં, નોકરી-ધંધા, પરિવારના સભ્યો, બેંક ડિટેઇલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ સહિતની તમામ બાબતોનું રૂબરૂ જઈને વેરિફિકેશન કરી લેવામાં આવ્યું છે. ડોઝિયરમાં આ વિગતો આરોપી પાસેથી લેવાઈઆ અંગે જિલ્લા પોલીસના વિશ્વસનીય સુત્રોએ જણાવ્યું કે, ડોઝિયરની SOP મુજબ,આરોપી હાલમાં કેવો દેખાય છે (લેટેસ્ટ ફોટો અને શારીરિક ડીટેઈલ), તેની પાસે કેટલી અને ક્યાં–ક્યાં પ્રોપર્ટી છે, આરોપી ક્યાં રહે છે અને હાલમાં ક્યાં–ક્યાં અવરજવર કરે છે, કોની સાથે મળે છે અને કોના સંપર્કમાં રહે છે, ભૂતકાળના તમામ ગુનાઓની યાદી તેમજ આરોપીની ગેંગ લિંક્સની માહિતી એકત્ર કરવામાં આવી છે. રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સંડોવાયેલા આરોપીઓની તપાસરાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સબબ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા જેમ કે,NDPS ના 150 ગુનેગારો, આર્મ્સ એક્ટના 225 ગુનેગારો, પાસાના 10 ગુનેગારો, પોટા MCOCA ના 10 ગુનેગારોનો લેટેસ્ટ ડેટાબેઝ તૈયાર કરી દેવાયો છે. એજ રીતે આવા અન્ય 100 ગુનેગારો પરપ્રાંતીયો હોવાથી જેતે રાજ્યને SOP ગાઇડલાઇન મુજબ જરૂરી આધાર પુરાવા સાથે યાદી મોકલી દેવામાં આવી છે. મહત્વનું છેકે આ ડેટાબેઝ થકી લોકલ પોલીસની ટીમ તેમના વિસ્તારમાં રહેતા આવા ગંભીર ગુનાના કે દેશવિરોધી પ્રવૃત્તિમાં જોડાયેલા આરોપીઓ ઉપર મેન્ટોર પ્રોજેક્ટ હેઠળ ખાસ બાઝ નજર રાખશે.
વાહનોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના બનાવો અવારનવાર બનતા હોય છે. આવો જ એક બનાવ સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે બન્યો હતો, જ્યાં એક મહિન્દ્રા થાર ગાડીમાં અચાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. કારમાં આગ લાગી ત્યારે બે યુવક સવાર હતા. જે સમયસુચકતા વાપરીને બહાર નીકળી જતા બચાવ થયો હતો. સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક મહિન્દ્રા થાર ગાડી જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન અચાનક તેમાં આગ લાગી ગઈ હતી. ગાડીમાં તે સમયે બે વ્યક્તિઓ સવાર હતા. આગ લાગવાની જાણ થતાં જ ગાડીમાં સવાર બંને વ્યક્તિઓ તાત્કાલિક બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થતાં ટળી ગઈ હતી. જોકે, આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં ગાડીના આગળના ભાગ (બોનેટ)ને સંપૂર્ણપણે લપેટમાં લઈ લીધી હતી. ગણતરીની મિનિટોમાં જ આગ કાબૂમાં લેવાઈવાહન સળગતું જોઈને આસપાસના સ્થાનિકોનું મોટું ટોળું ઘટનાસ્થળે એકઠું થઈ ગયું હતું. લોકોમાં ભય સાથે કુતૂહલ જોવા મળ્યું હતું. બનાવની જાણ થતાં જ વેસુ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ કોઈપણ વિલંબ કર્યા વિના પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. તેમની ત્વરિત અને અસરકારક કામગીરીને કારણે ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો. બોનેટ અને એન્જિનનો ભાગ સંપૂર્ણપણે બળીને ખાખઆ દુર્ઘટનામાં ગાડીનું બોનેટ અને એન્જિનનો ભાગ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. જોકે, અન્ય કોઈ નુકસાન કે જાનહાનિ થઈ ન હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વાહનોમાં ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં ખામી કે ઓવરલોડના કારણે શોર્ટ સર્કિટ થતાં આગ લાગવાના બનાવો સામાન્ય રીતે જોવા મળે છે. સમગ્ર ઘટનાએ વેસુ વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક અને ઉત્તેજનાનો માહોલ સર્જ્યો હતો.
વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં શનિવારે રાત્રે એક રિક્ષાચાલક, તેના ભાઈ અને ભત્રીજાને માથાભારે શખસ શહેબાઝ પઠાણ સહિત ત્રણ યુવકે માર માર્યો હતો. જેમાં રિક્ષાચાલકને ઇજાઓ પહોંચી હતી, જેથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાવ્યો હતો. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ બનાવ અંગે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપી શહેબાઝ પઠાણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર 'માફિયા કા મતલબ મેં, મેં કા મતલબ માફિયા' સોંગ પર રીલ મૂકેલી છે, જેમાં તે ટોળા સાથે કેક કાપતો દેખાય છે. આરોપી શહેબાઝ ભાઈગીરી સાથે સોનું પહેરવાનો પણ શોખીન છે. ફરિયાદી કામ પતાવી રાતે ઘરે જઈ રહ્યો હતોવડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક નાઝીમ અબ્દુલ કાદીર ખલીલ ખાન પઠાણ (ઉં.વ. 21)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, 22 નવેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ તે પોતાના ભાઈના દીકરા અજીમખાન આસમોહમ્મદ પઠાણ સાથે એક્ટિવા પર ફૂલવાડી ચોકડી પાસે કામ અર્થે ગયો હતો. કામ પૂરું કરીને રાત્રે લગભગ 9:30 વાગ્યે ઘરે પરત ફરતાં ડી-કેબીન માર્ગે આવતા હતા. મોપેડ પર આવેલા આરોપીએ ગાળી બોલી મારામારી કરીઅજીમી મસ્જિદ અને ગરીબ નવાજ પાર્ક પાસે ડી-કેબીન સામે અજીમખાનને ફોન આવતાં તેણે એક્ટિવા રોડની સાઇડમાં ઊભી રાખી હતી. તે સમયે શહેબાઝ નામનો યુવક મોપેડ પર આવીને ઊભો રહ્યો હતો અને બંનેને ગંદી ગાળો આપવા લાગ્યો હતો. યુવકે ગાળો ન આપવા કહેતાં શહેબાઝ વધુ ગુસ્સે થયો હતો અને અજીમખાનને ગાલ પર ઝાપટ મારી હતી. નાઝીમે તેને રોકવાનો પ્રયાસ કરતાં શહેબાઝે તેને પણ છુટ્ટા હાથે અને લાતો-ઘૂંટણથી મારવાનું શરૂ કર્યું હતું. અન્ય બે લોકોએ પણ દોડી આવી ફરિયાદીને માર માર્યોઆ દરમિયાન શહેબાઝના બે અન્ય મિત્રો બીજા વાહનમાં ત્યાં પહોંચી ગયા હતા અને ત્રણેયે મળીને નાઝીમને રોડની સાઇડમાં લઈ જઈને ગાળો આપી હતી અને ગડદાપાટુ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે જ સમયે નાઝીમનો મોટો ભાઈ નાસીરખાન ત્યાં પહોંચીને બચાવવા વચ્ચે પડ્યો હતો, તો ત્રણેય આરોપીએ તેને પણ માર માર્યો અને ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ હુમલામાં નાઝીમને શરીર અને માથાના ભાગે સામાન્ય ઇજા થઈ હતી, જેથી તેને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફતેગંજ પોલીસે આરોપી શહેબાઝ તેમજ તેના બે અજાણ્યા મિત્રો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મારા ભાઈનો કોલ આવતા મેં એક્ટિવા રોકી હતીઃ નાઝીમઆ મામલે રિક્ષાચાલક નાઝીમ પઠાણે જણાવ્યું હતું કે, હું અમે મારા ફોઈના દીકરો નવાયાર્ડ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, એ સમયે મારા ભાઈનો કોલ આવતા મેં એક્ટિવા રોકી હતી. આ સમયે શહેબાઝ ત્યાં આવ્યો હતો અને મને કહ્યું હતું કે, મારા ઘર પાસે કેમ બાઈક રોકી છે, તેમ કરીને મને માર્યો હતો. મારા ફોઈના દીકરા અને મારા ભાઈને પણ માર માર્યો હતો. આ લોકો સાથે અમારો કોઈ ઝઘડો નહોતો. આ લોકો ભાઈગીરી કરે છે અને કહે છે કે, અમારા ઘર પાસે ઊભું નહીં રહેવાનું.
હિંમતનગરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા શાંતિ પદયાત્રા યોજાઈ:શાંતિ સરોવરથી શરૂ થઈ, વિવિધ વિસ્તારોમાં ફરી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા આજે સવારે શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેરણા રોડ પર આવેલા બ્રહ્માકુમારીઝ શાંતિ સરોવર ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો અને વિસ્તારના માર્ગો પર ફરીને શાંતિ સરોવર ખાતે જ તેનું સમાપન થયું હતું. આ પદયાત્રા બ્રહ્માકુમારીઝ ગુજરાતના ડાયમંડ જ્યુબિલી વર્ષ 2025 હિરક જયંતિ મહોત્સવ અંતર્ગત શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહના ભાગરૂપે યોજાઈ હતી. વિશ્વમાં શાંતિમય સંસારના નિર્માણના હેતુથી રવિવારે સમગ્ર રાજ્યમાં શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંમતનગર બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્ર-સબઝોનના ઇન્ચાર્જ રાજયોગિની બીકે જ્યોતિદીદીના નેતૃત્વ હેઠળ આ પદયાત્રામાં 12 જુદા જુદા સેન્ટર અને લગભગ 150 બ્રહ્માકુમારીઝ પાઠશાળાઓના શ્વેત વસ્ત્રધારી રાજયોગી ભાઈ-બહેનો એક જ દિવસે અને એક જ સમયે મૌનના મંત્ર સાથે શાંતિદૂત બનીને જોડાયા હતા. આ યાત્રા વ્યસનમુક્તિ અને શાંતિદાનના સંકલ્પ સાથે નવનિર્મિત બ્રહ્માકુમારીઝ શાંતિ સરોવરથી પ્રસ્થાન કરીને યશસ્વી બંગલોઝ, વિરાટનગર, દેવભૂમિ સોસાયટીઓ થઈને બલવંતપુરાકંપા વિસ્તારમાં ફરીને શાંતિ સરોવર ખાતે પૂર્ણ થઈ હતી. આ શાંતિ પદયાત્રાને સાબરકાંઠા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા વડા મિત્તેશભાઈ સુથાર, વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી હિતેશભાઈ પટેલ અને નલિનભાઈ પટેલ, તેમજ બજરંગ દળના રાજ કનોજીયા અને અન્ય જિલ્લા કક્ષાના હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને પ્રસ્થાન કરાવ્યું હતું.
મોરબી શહેરમાં લુટેરી દુલ્હન દ્વારા છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક યુવકના લગ્ન કરાવ્યા બાદ અમદાવાદની યુવતી લગ્નના ત્રીજા જ દિવસે ફરાર થઈ ગઈ હતી. આ ઘટનામાં યુવકના પિતા પાસેથી લગ્નના નામે ત્રણ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. ભોગ બનેલા યુવકના પિતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રભુ કૃપા રેસીડેન્સી, રોયલ પાર્ક, મહેન્દ્રનગર ગ્રામ, મોરબી ખાતે રહેતા 55 વર્ષીય સુંદરજીભાઈ દેવજીભાઈ જસાપરાએ આ અંગે રાજુભાઈ તન્ના અને ચાંદની (બંને રહે. અમદાવાદ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સુંદરજીભાઈ તેમના પુત્ર રાહુલના લગ્ન કરાવવા માંગતા હતા, તે દરમિયાન તેમનો સંપર્ક અમદાવાદના રાજુભાઈ તન્ના સાથે થયો હતો. રાજુભાઈ તન્નાએ ચાંદની નામની યુવતી સાથે રાહુલના લગ્ન અમદાવાદ ખાતે રજિસ્ટ્રાર કચેરીમાં કરાવ્યા હતા. આ લગ્ન પેટે સુંદરજીભાઈ પાસેથી ત્રણ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. લગ્ન બાદ ચાંદની માત્ર ત્રણ દિવસ સુધી સુંદરજીભાઈના ઘરે તેમના પુત્ર રાહુલ સાથે રોકાઈ હતી. ત્યારબાદ, તેણે પોતાના પિતાનું અવસાન થયું હોવાનું બહાનું કાઢીને ઘર છોડી દીધું હતું અને ત્યારથી તે પરત આવી નથી. આમ, પુત્રના લગ્ન કરાવી દેવાનું કહીને વૃદ્ધ સુંદરજીભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હતી. સુંદરજીભાઈની ફરિયાદના આધારે મોરબી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે. આ કેસની વધુ તપાસ પી.એસ.આઇ. બી.એ. ગઢવી ચલાવી રહ્યા છે.
રાજકોટના ભગવતીપરા વિસ્તારમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. હત્યાની જાણ થતાં બી-ડિવિઝન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યાં છીએ...
ઇરાનમાં ગુજરાતીઓનું કિડનેપિંગ થયાની ઘટના હજુ તાજી છે ત્યાં જ જાકાર્તા ફરવા ગયેલા ત્રણ ગુજરાતીઓ ફસાયા હોવાનો મામલો સામે આવ્યો છે. શુક્રવારથી આ ત્રણેયને એક હોટલમાં ગોંધી રખાયા છે અને છોડવા માટે પરિવાર પાસે 18 લાખ રૂપિયાની ખંડણી માંગી છે. આ ત્રણેય અમદાવાદના છે અને મંગળવારે ફરવા માટે ગયા હતા. અમદાવાદના નિસર્ગ (નામ બદલેલું છે) નામના યુવાનના તાજેતરમાં જ લગ્ન થયા હતા. તે પત્નીને લઇ હનીમૂન માટે જાકાર્તા અને બાલી જવાનો હતો. આ દરમિયાન તેની સાથે બીજો એક યુવાન સૌમિલ (નામ બદલેલું છે) પણ જોડાયો હતો. જાકાર્તા જતાં પહેલાં સૌમિલના મોટાભાઇએ પ્રવીણ શર્મા નામના એક એજન્ટનો કોન્ટેક્ટ નંબર આપ્યો હતો અને હોટલ બુકિંગ માટે તેમને મળવાનું કહ્યું હતું. એજન્ટે હોટલની વ્યવસ્થા કરી આપી18મી તારીખે ત્રણેય જાકાર્તા એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં 35 ડોલર આપીને વિઝા ઓન અરાઇવલ લીધા હતા. એરપોર્ટથી જ આ લોકોએ પ્રવીણ શર્માને ફોન કર્યો હતો. જેથી પ્રવીણે તેમને હોટલની વિગતો મોકલી હતી. બાદમાં ત્રણેય ટેક્સી કરીને હોટલ પહોંચ્યા હતા. હોટલમાં ત્રણેયને રહેવા માટે એક જ રૂમ અપાયો હતો. હોટલમાં વાઇફાઇ સહિતની સુવિધા સારી ન હોવાથી તેમણે બુધવારે પ્રવીણને હોટલ બદલવા માટે કહ્યું હતું. જેથી પ્રવીણે તેમને અન્ય રૂમમાં જવાનું કહ્યું હતું પરંતુ હોટલવાળાએ બીજો રૂમ આપ્યો નહોતો. એજન્ટે ઓસ્ટ્રેલિયાના નકલી વિઝા મોકલ્યાગુરૂવારે પ્રવીણ શર્મા અને આ ત્રણેય ગુજરાતીઓની મુલાકાત થઇ હતી. જેમાં પ્રવીણે તેમને ઓસ્ટ્રેલિયા મોકલવાની ઓફર કરી હતી પરંતુ ત્રણેયે ઇન્કાર કરી દીધો હતો. તેમ છતાં પ્રવીણે ઓસ્ટ્રેલિયાના નકલી વિઝા બનાવી વોટ્સએપમાં મોકલી દીધા હતા. આ દરમિયાન શુક્રવારે બપોરે 12 વાગ્યે તેમની હોટલમાં એક અજાણ્યો શખસ આવ્યો હતો અને પોતાની ઓળખ ઇમિગ્રેશન ઓફિસર તરીકે આપી હતી અને ત્રણેયના પાસપોર્ટ માંગ્યા હતા. જેથી નિસર્ગ અને તેની પત્નીએ પાસપોર્ટ આપી દીધો હતો પણ સૌમિલે એ શખસને સામે પૂછ્યું હતું કે તમારે પાસપોર્ટનું શું કામ છે.આના પછી તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી અને પછી ઝપાઝપી પણ થઇ. જેથી સૌમિલે હોટલની સિક્યોરિટી પાસે જઇને પોલીસને ફોન કરવા દેવાનું કહ્યું હતું પણ તેને ફોન કરવા દેવાયો નહોતો. ઇમિગ્રેશન ઓફિસરે પાસપોર્ટ જપ્ત કરી લીધાજેના પછી એ શખસે નિસર્ગ અને તેની પત્નીનો પાસપોર્ટ જપ્ત કરી લીધો હતો. બાદમાં એ શખસે અન્ય લોકોને બોલાવી સૌમિલના હાથ બાંધી દીધા હતા અને ત્રણેયને જાકાર્તાની ઇમિગ્રેશન ઓફિસમાં લઇ ગયા હતા. જ્યાં નિસર્ગ અને તેની પત્નીને અલગ રાખ્યા હતા. જ્યારે સૌમિલને લોકઅપમાં રાખ્યો હતો. લોકઅપમાં સૌમિલને માર મારીને કરંટ અપાયો હતો. અહીં ત્રણેયના મોબાઇલ પણ જપ્ત કરી લેવાયા હતા. જેમાં પ્રવીણ શર્માએ મોકલેલા ઓસ્ટ્રેલિયાના નકલી વિઝા મળ્યાં હતા. જેથી આ મામલે પણ તેમની પૂછપરછ થઇ હતી અને ઓસ્ટ્રેલિયા જવા માટે જાકાર્તા આવ્યા હોવાનું કાગળ પર લખાવી તેમની સહી કરાવી લીધી હતી. સાતેક કલાક રખાયા બાદ તેમને હોટલમાં મોકલી દેવાયા હતા. હાલમાં ત્રણેયને ઇસ્ટ જાકાર્તાની એક હોટલમાં રખાયા છે અને નવી સૂચના ન મળે ત્યાં સુધી હોટલ બદલવાની મનાઇ કરી છે. 18 લાખ રૂપિયાની ખંડણી માગીસૌમિલે જ્યારે આ અંગે પોતાના ભાઇને વાત કરી ત્યારે ખબર પડી કે હકીકતમાં પ્રવીણ શર્મા વોન્ટેડ છે. તેમની સાથે જાકાર્તામાં જે-જે ઘટના બની છે તેની પાછળ પ્રવીણ શર્માનો જ હાથ છે. સૂત્રોનું માનીએ તો પ્રવીણ શર્મા અને તેના મળતિયાઓએ નિસર્ગ, તેની પત્ની અને સૌમિલને છોડવા માટે તેમના પરિવાર પાસેથી 18 લાખ રૂપિયા માંગ્યા છે. આ સમગ્ર મામલો હવે જાકાર્તાના ભારતીય દૂતાવાસમાં પહોંચ્યો છે. સૌમિલના ભાઇએ શુક્રવારે ભારતીય દૂતાવાસને ઇમેલ કરી ઘટનાની જાણ કરી છે. ભારતીય દૂતાવાસને કરેલો ઇમેલમારો ભાઇ અને તેના મિત્રો મંગળવારે પ્રવીણ શર્મા નામના એજન્ટ દ્વારા જાકાર્તા પહોંચ્યા હતા. તેઓ એક હોટલમાં રોકાયા હતા પરંતુ આજે એજન્ટે ઇમિગ્રેશન ઓફિસરને તેમની હોટલ પર મોકલ્યા હતા. ઓફિસર તેમને ક્લાસ-1 ઇમિગ્રેશન ઓફિસ, ઉત્તર જાકાર્તા ખાતે લઇ ગયા હતા. હોટલ છોડતા પહેલા મારા ભાઇએ મને લાઈવ લોકેશન મોકલ્યું હતું. અમને મળી એ માહિતી અનુસાર એજન્ટે મારા ભાઇ અને તેના મિત્રોને તેમના ફોન પર નકલી ડોક્યુમેન્ટ્સ મોકલીને ફસાવ્યા છે. અમે સવારથી જ તેમને કોલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ વાત નથી કરી શક્યા. મહેરબાની કરીને અમારી મદદ કરશો.
દેશભરમાં અત્યારે SIRની કામગીરી ચાલી રહી છે, ત્યારે આંબાવાડીમાં આવેલી સહજાનંદ કોલેજમાં ભાજપના બુથ પ્રમુખ SIRની કામગીરી દરમિયાન સાથે બેઠા હતા. બુથ પ્રમુખ તેમની જગ્યાએથી ઊભા થયા ત્યારે એક વ્યક્તિ તેમની જગ્યા પર બેસી ગયા હતા. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે બુથ પ્રમુખે મહિલા અને તેમના પતિને ગાળો આપી જાનથી મારી દેવાની ધમકી આપી દીધી હોવાની ફરિયાદ નોંધાઈ છે. બુથ પ્રમુખે પણ મહિલા અને તેમના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સેટેલાઈટ પોલીસે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ભાજપ પ્રમુખે ફરિયાદીના પતિને પાછળથી ઝાપટ મારીઆંબાવાડીમાં રહેતા ધારિણીબેન શાહે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ તેમના પતિ સાથે સહજાનંદ કોલેજમાં ઇલેક્શનનું ફોર્મ ભરવા માટે ગયા હતા. આ દરમિયાન BLO મનોજભાઈ બેઠા હતા અને મનોજભાઈની સાથે શ્રીરામ મોદી પણ બેઠા હતા. શ્રીરામ મોદી તેમની જગ્યા પરથી ઉભા થયા ત્યારે તેમની જગ્યા પર ધારીનીબેનના પતિ મનીષભાઈ બેસી ગયા હતા. મનીષભાઈ બેઠા ત્યારે શ્રીરામ મોદીએ તમને પાછળથી ઝાપટ મારી દીધી હતી જેથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. 'મારા ભાઈ-ભાભી વકીલ છે તો મારું કંઈ બગાડી નહીં શકે'આ દરમિયાન શ્રી રામ મોદીએ ગાળો આપી હતી, જેથી ધારીનીબેને કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. ત્યારે શ્રીરામ મોદીએ કહ્યું હતું કે, તારે જે કરવું હોય તે કર પોલીસ મારું કાંઈ નહીં બગાડી શકે. જો તું પોલીસ સ્ટેશન જઈશ તો હું તારા પતિને ચાર પાંચ દિવસમાં ગાડીથી મરાવી નાખીશ. મારા ભાઈ-ભાભી વકીલ છે તો મારું કંઈ બગાડી નહીં શકે. શ્રીરામ મોદીએ ધારીનીબેનને પણ એકલી મળીશ તો જાનથી મારી નાખીશ ધમકી આપી હતી. આ અંગે ધારીનીબેને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ભાજપ પ્રમુખ ઉભા થયા તો તેમની જગ્યાએ એક વ્યક્તિ બેસી ગયોબીજી તરફ ભાજપના બુથ નંબર 15ના બુથ પ્રમુખ શ્રીરામ મોદીએ પણ સેટેલાઈટ પોલીસે ફરિયાદ નોંધાવી છે કે, તેઓ સહજાનંદ કોલેજમાં ઇલેક્શનની કામગીરીમાં મદદરૂપ થવા માટે બેઠા હતા અને તેમની ખુરશી પરથી ઉભા થયા ત્યારે તેમની જગ્યાએ મનીષાભાઈ નામનો વ્યક્તિ બેસી ગયો હતો. મનીષભાઈને ઉભા થવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન મનીષભાઈના પત્ની ધારીનીબેને શ્રીરામ મોદીને છુટ્ટું ચપ્પલ માર્યું હતું. ભાજપ પ્રમુખને હાથ-પગ તોડાવી છેડતીના કેસમાં ફસાવાની ધમકી આપીશ્રીરામ મોદી જ્યાં બેઠા હતા ત્યાં ધારીનીબેન અને તેના પતિ એક્ટિવા લઈને પહોંચ્યા અને ગાળો આપી હતી અને કહ્યું હતું કે, તું મને ઓળખો નથી તારા હાથ પગ તોડાવી નાખીશ અને ક્યાંય ખોવાઈ જઈશ. ધારીનીબેને શ્રીરામ મોદીને ધમકી આપી હતી કે, છેડતીના ખોટા કેસમાં ફસાવી જેલ ભેગો કરાવી દઈશ. જેથી શ્રીરામ મોદીએ ધારિની શાહ અને તેમના પતિ મનીષ શાહ વિરુદ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે. શહેરના સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં 5 વર્ષના એક માસૂમ બાળક પર 4થી 5 જેટલાં શ્વાનોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. માથા સહિત શરીર પર 20થી વધુ ઈજાના નિશાનો છે. હાલ બાળકની હાલત ગંભીર છે. શ્વાનના ટોળાએ 5 વર્ષીય બાળક પર જીવલેણ હુમલો કર્યોમળતી માહિતી અનુસાર, સચિન વિસ્તારમાં 5 વર્ષીય બાળક શીવાય રાજેશ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે. આજે શિવાય તેના પિતા રાજેશ પ્રજાપતિ સાથે સચિન વિસ્તારમાં આવેલા ઈકો ડાયમંડ પાર્ક પાસે આવેલી કંપની નજીક ગયો હતો. કંપનીની બહારના ભાગમાં જ અચાનક 4 કે તેથી વધુ શ્વાનોના ટોળાએ આ બાળક પર હુમલો કરી દીધો હતો. માથું ગંભીર રીતે ફાડી નાખ્યું, 20થી વધુ ગંભીર ઇજાઓશ્વાનોએ બાળકને ફાડી ખાવાનો પ્રયાસ કર્યો અને તેનું આખું માથું ગંભીર રીતે ફાડી નાખ્યું હતું. બાળકના શરીરના અન્ય ભાગો પર પણ શ્વાનોએ બચકાં ભર્યા હતા, જેના કારણે તેને 20થી વધુ ગંભીર ઇજાઓ પહોંચી છે. બાળક પર હુમલો થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામહેનતે શ્વાનોની ચુંગાલમાંથી બાળકને છોડાવ્યો હતો. બાળકની હાલત અત્યંત ગંભીરલોહીલુહાણ હાલતમાં સિવાયને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તબીબોના જણાવ્યા મુજબ, બાળકનું માથું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હોવાથી તેની હાલત અત્યંત ગંભીર છે. આ બનાવને પગલે પરિવારમાં શોક અને માતમનો માહોલ છવાયો છે. શહેરમાં રખડતા શ્વાનોના હુમલાના બનાવો સતત વધી રહ્યા છે, અનેક માસૂમ બાળકો શ્વાનનો શિકાર બની ચૂક્યા છે. આ ગંભીર બનાવ બાદ ફરી એકવાર સુરત મહાનગરપાલિકાની શ્વાન નિયંત્રણની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ માગ કરી છે કે તંત્ર દ્વારા રખડતા શ્વાનોના ત્રાસને ડામવા માટે નક્કર અને કડક પગલાં લેવામાં આવે. અમે સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ...... અમદાવાદમાં રખડતા શ્વાનનો આતંક, CCTV:PGમાં રહેતો યુવક એક્ટિવા પાર્ક કરતો તો ને બચકુ ભર્યું, એક જ દિવસમાં 8 લોકોને કરડ્યુંઅમદાવાદના પાલડી વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. મંગળવારે (18 નવેમ્બર) એક જ શ્વાને હીરાબાગ ક્રોસિંગ પાસે અને શારદા મંદિર રોડ પર 5થી વધુ વ્યક્તિઓને કરડી નાખ્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આમાંથી એક ઘટના PGમાં રહેતા યુવક પર થયેલા હુમલાની CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.(વાંચો સંપૂર્ણ સમાચાર) 4 માસની બાળકીને ફાડી ખાનારા શ્વાનના માલિકની ધરપકડ:યુવતી ફોનમાં વાતોમાં હતી ને હાથમાંથી છટકેલા શ્વાને કાળો કેર વર્તાવ્યો અમદાવાદ શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસિડેન્સીમાં એક પાલતું રોટવીલર શ્વાને 4 મહિનાની બાળકી અને તેની સાથે રહેલા તેના માસી પર હુમલો કરી દેતા બાળકીનું મોત નિપજ્યું હતું, જ્યારે માસીને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. (વાંચો સંપૂર્ણ સમાચાર) જર્મન શેફર્ડ ડોગનો બે બાળક પર હુમલો, CCTV:અમદાવાદમાં પાર્કિંગમાંથી મહિલા કૂતરાને લઈને જતા સમયે બાળક પાછળ દોડ્યોઅમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં ડૂન રિવેરા સ્કૂલ પાસે આવેલા શરણમ એલિગન્સમાં પાલતું કૂતરા જર્મન શેફર્ડે બે બાળક પર હુમલો કર્યો હતો. મહિલા કૂતરાને લઈને બ્લોકના પાર્કિંગમાંથી જતી હતી ત્યારે બાળક કૂતરાને જોઈને ભાગ્યાં હતાં. બાળકોને ભાગતાં જોઈને લકી નામના કૂતરાએ તેની પાછળ દોટ મૂકી હતી.. (વાંચો સંપૂર્ણ સમાચાર)
કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડું સ્થળ રહ્યું છે. આજે અહીં લઘુત્તમ તાપમાન 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છેલ્લા એક સપ્તાહથી તાપમાન 10 ડિગ્રીથી ઉપરના સ્તરે જળવાઈ રહ્યું છે. નલિયામાં લોકો સાંજથી વહેલી સવાર સુધી સતત ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે તાપમાન હજુ એકલ આંક (સિંગલ ડિજિટ) સુધી પહોંચ્યું નથી. જિલ્લા મથક ભુજ શહેરમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો નોંધાયો છે. ભુજનું ન્યૂનતમ તાપમાન 16.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે, જેના કારણે ઠંડીમાં ઘટાડો થયો છે. બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે. કચ્છમાં આ વિષમ હવામાનને કારણે સીઝનલ બીમારીઓમાં વધારો જોવા મળ્યો છે. સરહદી કચ્છ જિલ્લામાં શિયાળો હજુ સંપૂર્ણપણે જામ્યો નથી. લોકો ગરમ વસ્ત્રો પહેરવા કે નહીં તે અંગે અવઢવમાં છે. ભુજ શહેરની બજારમાં ગરમ વસ્ત્રોની હંગામી દુકાનોમાં હજી સુધી ગ્રાહકોની ખરીદી જામી શકી નથી. કંડલામાં તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ સી. પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. ઓક્ટોબર 2023માં થયેલા કમોસમી અને ભારે વરસાદથી પાટણ જિલ્લાના પાટણ, સરસ્વતી અને ચાણસ્મા તાલુકાના ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. તેમણે આ ત્રણેય તાલુકાઓને ખરીફ કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરવા અને મગફળી ખરીદી કેન્દ્ર સ્થાપવા માંગણી કરી છે. ઓક્ટોબર મહિનામાં પાટણ, સરસ્વતી અને ચાણસ્મા તાલુકામાં અચાનક ભારે વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે તૈયાર થયેલા કપાસ, કઠોળ અને ઘાસચારાના પાકોને મોટું નુકસાન થયું છે. ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું કે, પાકમાં 40 ટકાથી પણ વધુ નુકસાન થયું છે. ખેડૂતોને પાક લેવા માટે પણ પાણીની વ્યવસ્થા નથી, જેના કારણે પાક બળી ગયો છે. આ ઉપરાંત, પશુધન માટે ઘાસચારો પણ તૈયાર ન થવાથી ખેડૂતોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા જે કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું છે, તેમાં પાટણ, સરસ્વતી અને ચાણસ્મા તાલુકાના ખેડૂતોનો સમાવેશ કરાયો નથી. આથી, આ ત્રણેય તાલુકાના ખેડૂતોને રાહત પેકેજમાં સમાવવા માટે રજૂઆત કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા મગફળી ખરીદવા માટે ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો શરૂ કરાયા છે. જોકે, પાટણ જિલ્લામાં એકપણ ખરીદી કેન્દ્ર ફાળવવામાં આવ્યું નથી. આના કારણે ખેડૂતોને પોતાની મગફળી વેચવા માટે દૂરના સ્થળોએ જવું પડે છે. તેથી, ધારાસભ્યએ મુખ્યમંત્રીને તાત્કાલિક ધોરણે પાટણ જિલ્લામાં મગફળી માટેનું ખરીદી કેન્દ્ર ફાળવવા વિનંતી કરી છે.
5 વર્ષમાં સાયબર ક્રાઈમ 30% વધ્યો: 9 મહિનામાં રૂ.1011 કરોડ સ્વાહા, ગુજરાતીઓ સૌથી વધુ છેતરાયા
Cyber crime in Gujarat: ગુજરાતમાં સાયબર ક્રાઈમ અટકાવવા માટેના પોલીસ અને સરકારના સામુહિક પ્રયાસો અને જનજાગૃતિ અભિયાનો છતાં સાયબર ગઠિયાઓ પોલીસ કરતાં એક ડગલું આગળ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ક્રાઈમના બનાવોમાં ચિંતાજનક 30 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2025ના સપ્ટેમ્બર મહિના સુધીમાં જ (પ્રથમ 9 મહિનામાં) સાયબર અપરાધીઓએ ગુજરાતીઓના રૂ.1,011 કરોડ ચાઉં કરી લીધા છે, જે રાજ્યની સુરક્ષા વ્યવસ્થા માટે લાલબત્તી સમાન છે. આંકડાકીય માહિતી અનુસાર, સૌથી વધુ ઠગાઈ રોકાણમાં ઊંચા વળતરની લાલચ આપીને કરવામાં આવી છે. માત્ર રોકાણના બહાને જ 9,240 લોકો સાથે છેતરપિંડી આચરીને કુલ રૂ.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે શનિવારે(22 નવેમ્બરે) સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025ની મુલાકાત લીધી હતી. અમિત શાહે બુક સ્ટોલની મુલાકાત લીધી હતી. બુક ફેસ્ટિવલમાં બાળકો માટે અલગ અલગ સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વિવિધ સ્પર્ધાઓમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત પણ કર્યા હતાં. વિદ્યાર્થીનીએ હાર્મોનિયમ શીખવા માટે ઇચ્છા વ્યક્ત કરી શહેરના નિકોલ વિસ્તારની સ્કૂલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થીનીને સન્માનિત કરી હતી. ત્યારે વિદ્યાર્થીનીએ કેન્દ્રીય ગૃહ મંત્રી સમક્ષ પોતાને હાર્મોનિયમ શીખવા માટે ઇચ્છા વ્યક્ત કરતા અમિત શાહે સાથે રહેલા ધારાસભ્ય અમિત ઠાકરને કહ્યું, વિદ્યાર્થીનીની વિગત લઇ ઓફિસ મોકલાવજો. ધારાસભ્યએ વિદ્યાર્થીનીની નામ, સરનામું અને વિગત લઈને ગૃહ મંત્રીની ઓફિસે મોકલાવી હતી. 'દિકરીની વિગત અને ઘરનું એડ્રેસ લઇને મારી ઓફિસે પહોંચાડી દેજો'22 નવેમ્બર શનિવારના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બુક ફેસ્ટિવલ દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિદ્યાર્થીઓને સન્માનિત કરી રહ્યાં હતા. જે દરમિયાન અમદાવાદની પુરૂષોત્તમનગર સ્કૂલમાં અભ્યાસ કરતી 10 વર્ષીય વિદ્યાર્થીની પ્રગતિ ચૌહાણને હાર્મોનિયમ સ્પર્ધામાં પહેલો નંબર મેળવવા બદલ સન્માનિત કરી રહ્યાં હતા. એ દરમિયાન પ્રગતિ ચૌહાણે અમિત શાહ સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી કે, મારે હાર્મોનિયમ શીખવાની ઇચ્છા છે. વિદ્યાર્થીનીની વાત સાંભળતા જ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નજીક ઉભેલા વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરને કહ્યું કે, દિકરીની વિગત અને ઘરનું એડ્રેસ લઇને મારી ઓફિસે વિગત પહોંચાડી દેજો. 'કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ માટે અમદાવાદ તૈયાર છે, સુસ્વાગતમ'સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા બુક ફેસ્ટિવલના સ્થળે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે હસ્તાક્ષર દીવાલ (સિગ્નેચર વોલ) પર પોતાનો વિશેષ પ્રતિભાવ લખ્યો હતો. આ પ્રતિભાવ દ્વારા તેમણે કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ માટે અમદાવાદની તૈયારીઓને બિરદાવી હતી. તેમણે સિગ્નેચર વોલ પર લખ્યું હતું કે: કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ માટે અમદાવાદ તૈયાર છે, સુસ્વાગતમ.(વાંચો સંપૂર્ણ અહેવાલ) અમિત શાહે બાળકો સાથે આત્મીય વાર્તાલાપ કર્યોકેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બુક ફેરના વિવિધ સ્ટોલ્સની રૂબરૂ મુલાકાત લીધી હતી અને પુસ્તકો પ્રત્યે પોતાનો વિશેષ લગાવ વ્યક્ત કર્યો હતો. તેમણે આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ શાળાઓના બાળકો સાથે આત્મીય વાર્તાલાપ કર્યો હતો અને તેમને વાંચનનું મહત્વ સમજાવી પ્રોત્સાહિત કર્યા હતા.બાળકો સાથેના આ સંવાદે મહોત્સવમાં એક ઉષ્માભર્યો માહોલ સર્જ્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની સાથે મંત્રી જીતુ વાઘાણી અને મંત્રી ઋષિકેશ પટેલ, અમદાવાદ શહેરના ધારાસભ્યો અને AMCના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રવિવારે એક દિવસની કચ્છની મુલાકાતે છે. તેઓ જિલ્લા મથક ભુજ અને ઔદ્યોગિક મથક ગાંધીધામ ખાતે ₹679 કરોડના વિકાસકામોની ભેટ આપશે. ભુજમાં લાલન કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ₹498 કરોડના 52 કામોનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત, ₹5.79 કરોડના ત્રણ કામોનું લોકાર્પણ પણ કરવામાં આવશે, જે કુલ ₹503 કરોડના વિકાસકામોનો ભાગ છે. આ વિકાસકામોમાં માર્ગ અને મકાન, જીએમડીઆરડીસી, સિંચાઈ, વન વિભાગ, પ્રવાસન અને શિક્ષણ વિભાગના વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ગાંધીધામમાં, મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી ₹176 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. સત્તાવાર કાર્યક્રમ અનુસાર, મુખ્યમંત્રી પટેલ સવારે કંડલા એરપોર્ટ પર ઉતરાણ કરશે. ત્યારબાદ તેઓ સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે વિકાસ કામોનું ભૂમિપૂજન કરશે. ગાંધીધામના કાર્યક્રમ બાદ, બપોરે 12 થી 1 વાગ્યા દરમિયાન ભુજમાં આયોજિત લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપી તેઓ ગાંધીનગર પરત જવા રવાના થશે. મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ત્રિકમ છાંગા, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો કેશુ પટેલ, માલતીબેન મહેશ્વરી, અનિરુદ્ધ દવે, વીરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીના કચ્છ આગમનને ધ્યાનમાં રાખીને ભુજ અને ગાંધીધામ શહેરના જાહેર માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત, મુખ્ય માર્ગો પર સફાઈ અભિયાન હાથ ધરી તેમને સ્વચ્છ અને સુંદર બનાવવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો માનવતાભર્યો અને સંવેદનશીલ વલણ દર્શાવતી અનોખી ઘટના સામે આવી છે. જામનગરના પરમાર પરિવારની દીકરી સંજના પરમારના 23 નવેમ્બરનાં રોજ જામનગર શહેરના ટાઉનહોલ ખાતે લગ્ન હતા, પરંતુ લગ્નના એક દિવસ બાદ એટલે કે 24 નવેમ્બરનાં મુખ્યમંત્રીનો સરકારી કાર્યક્રમ પણ એ જ સ્થળે નિર્ધારિત હતો. જેના કારણે આસપાસ સુરક્ષા, પોલીસ બંદોબસ્ત અને માર્ગ વ્યવસ્થામાં ફેરફાર થવાને કારણે પરિવાર ચિંતામાં મુકાયો હતો. 'આપણા કાર્યક્રમનું સ્થળ બદલો, દીકરીના પરિવારની ચિંતાએ આપણી ચિંતા'પરિવારે આ બાબતે મુખ્યમંત્રી કાર્યાલય સુધી વાત પહોંચાડતા મુખ્યમંત્રીએ તાત્કાલિક પ્રતિસાદ આપ્યો અને અધિકારીઓને સૂચના આપી કે, 'આપણા કાર્યક્રમનું સ્થળ બદલો. દીકરીના પરિવારની ચિંતાએ આપણી ચિંતા'. આ નિર્ણય બાદ કાર્યક્રમ નવી જગ્યાએ પાર પાડવામાં આવ્યો અને પરમાર પરિવારનો મોટો તણાવ દૂર થયો. CMએ પરિવારને ફોન કરી ચિંતા મુક્ત કર્યાઆ દરમિયાન CMએ પરમાર પરિવારના મોભી સાથે ફોન પર વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તમારા પરિવારના મેરેજ હતા ત્યાં અમારો પ્રોગ્રામ કરવાની મેં ના પાડી છે કે ત્યાં પ્રોગ્રામ ના કરો. મેરેજ હોય એટલે તમારી તકલીફ સમજી શકું છું. એટલે તમારા સમયે તમે તમારો ફંકશન કરજો જ ન્યાં, છતાં તમને કઈ તકલીફ હોય તો આ નંબર પર ફોન કરજો. 'મુખ્યમંત્રીનો એક ફોન આવ્યો અને અમે શાંતિથી સુઈ શક્યા'લગ્નકન્યાના કાકા બ્રિજેશ પરમાર મુખ્યમંત્રી પ્રત્યે આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, 'લગ્નગાળામાં તાત્કાલિક સ્થળ બદલવું, મહેમાનોને જાણ કરવી અને નવી વ્યવસ્થા કરવી અઘરી બાબત હતી, પરંતુ મુખ્યમંત્રીનો એક ફોન આવ્યો અને અમે શાંતિથી સુઈ શક્યા.' આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માત્ર જવાબદાર પ્રશાસક નથી, પરંતુ લોકોની ભાવનાઓને સમજતા સંવેદનશીલ નેતા છે. જનતાની નાની લાગણી અને મુશ્કેલીઓ સમજીને નિર્ણય લેવી એ તેમની કાર્યશૈલીનું વિશેષ લક્ષણ બનેલું છે.
રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે તમામ મોટા શહેરોનું તાપમાન 20 ડિગ્રી કરતા નીચે નોંધાયું છે. છેલ્લા કેટલાક દિવસથી નલિયામાં સૌથી વધુ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ત્યારે ફરી એક વખત રાજ્યમાં 10.4 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઠંડુગાર શહેર બની ગયું છે. રાજકોટમાં 13.9 ડિગ્રી તો અમદાવાદમાં 15.1 ડિગ્રી હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજકોટમાં 13.9 ડિગ્રી, ડીસામાં 14.3 ડિગ્રી, અમદાવાદમાં 15.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં 15.8 ડિગ્રી, ભુજમાં 16.4 ડિગ્રી, ગાંધીનગરમાં 16.2 ડિગ્રી, વડોદરામાં 16.6 ડિગ્રી, કંડલામાં 17 ડિગ્રી, ભાવનગરમાં 17.8 ડિગ્રી સુરતમાં 18.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઠંડીના પ્રમાણમાં વધારો થશેઠંડીનો ચમકારો વહેતા વહેલી સવાર ગાર્ડનમાં પણ લોકોની સંખ્યા વધી ગઈ છે. ઠંડીથી બચવા માટે વહેલી સવારે મોટી સંખ્યામાં લોકો ગાર્ડનમાં ચાલતા અને કસરત કરતા જોવા મળી રહ્યા હતા. જો કે આગામી સમયમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગરમાં રાજકુમાર જાટના મોત મામલે તપાસ તેજ બની છે. આ કેસમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સહિત 13 શખ્સોને સુરેન્દ્રનગર એસપી સમક્ષ તપાસ માટે હાજર કરવામાં આવ્યા હતા. આ કેસમાં ગોંડલ, કાલાવડ અને રાજકોટમાં ત્રણ અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે, જેની તપાસ હાઈકોર્ટે સુરેન્દ્રનગર એસપી અને ધાંગધ્રાના ડીવાયએસપીને સોંપી છે. હાઈકોર્ટના આદેશ મુજબ, તમામ શંકાસ્પદ વ્યક્તિઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. તપાસ ટીમ ઘટનાક્રમની ઝીણવટભરી તપાસ કરી રહી છે. હાઈકોર્ટે 10 તારીખ સુધીમાં કેસની સંપૂર્ણ તપાસ પૂર્ણ કરીને વિગતવાર રિપોર્ટ સુપરત કરવાનો નિર્દેશ આપ્યો છે. સુરેન્દ્રનગર પોલીસ મથકે ગણેશ ગોંડલ સહિતના તમામ વ્યક્તિઓના નિવેદનો દિવસભર નોંધવામાં આવ્યા હતા. રાજકુમાર જાટના મોતનું સત્ય બહાર લાવવા પોલીસ ટેકનિકલ અને દસ્તાવેજી પુરાવાઓની પણ ચકાસણી કરી રહી છે. કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ અત્યંત સાવચેતીપૂર્વક તપાસ આગળ વધારી રહી છે. રાજકુમાર જાટના મોત કેસમાં તપાસ દરમિયાન ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સહિત કુલ 11 શખ્સોની સંડોવણીના સંકેતો મળ્યા છે. આ ગંભીર કેસની તપાસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવી છે, જેમાં ધાંગધ્રાના ડીવાયએસપી જે.ડી. પુરોહિત પણ જોડાયા છે. પોલીસે જણાવ્યું કે, ગણેશ ગોંડલ સહિત તમામ શંકાસ્પદ વ્યક્તિઓને સુરેન્દ્રનગર ખાતે પૂછપરછ માટે હાજર રહેવા જણાવાયું હતું. તેમના નિવેદનોની ઝીણવટભરી ચકાસણી અને પૂછપરછ ચાલી રહી છે. તપાસ દરમિયાન, ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાજકુમાર જાટના ગુમ થયા અંગેની ફરિયાદ અને ત્યારબાદ એનસી ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત, રાજકોટમાં તેની હત્યા અંગે અલગ ગુનો પણ નોંધાયો છે. હાઈકોર્ટે ત્રણેય કેસોની તપાસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને સોંપતા, પોલીસે તપાસ વધુ તેજ બનાવી છે. હાલમાં સુરેન્દ્રનગર ખાતે તમામ શંકાસ્પદ વ્યક્તિઓની ઝીણવટભરી પૂછપરછ ચાલી રહી છે. પોલીસ દ્વારા આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર જિલ્લાનું ધ્યાન આ હાઈપ્રોફાઈલ કેસની આગામી કાર્યવાહી પર કેન્દ્રિત થયું છે.
ગાંધીનગરની જીએમઇઆરએસ(GMERS) મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં ફરી એકવાર શરમજનક રેગિંગની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવી 'ઇન્ટ્રો' આપવાની ફરજ પાડી તેમની સાથે પરાણે હસી-મજાક કરીને માનસિક રીતે ટોર્ચર કરવા બદલ 14 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને માત્ર કોલેજની બોયઝ હોસ્ટેલમાંથી 6 માસથી લઈને બે વર્ષ સુધીના સમયગાળા માટે રસ્ટિકેટ(સસ્પેન્ડ) કરી સત્તાવાળાઓએ ચુપકીદી સાધી લીધી છે. GMERS મેડિકલ કોલેજમાં 'રેગિંગ'નું કલંકગાંધીનગર મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગની નવી ઘટના સામે આવતા કોલેજ વહીવટીતંત્રની જવાબદારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે કે UGC રેગિંગને ફોજદારી ગુનો ગણાવતું હોવા છતાં મેડિકલ કોલેજ તંત્ર દ્વારા વારંવાર બનતી આવી ઘટનાઓમાં કડક કાર્યવાહી કરવાને બદલે 'ભવિષ્ય ન બગડે' તેવી નરમ નીતિ અપનાવવામાં આવી છે. સિનિયરો દ્વારા જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગપ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અભ્યાસ શરૂ થઈ ગયો છે. તેવામાં કોલેજની બોયઝ હોસ્ટેલમાં બીજા અને ત્રીજા વર્ષના કેટલાક વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવીને તેમને 'ઇન્ટ્રો' આપવાની ફરજ પડાઈ હતી. બાદમાં તેમની સાથે પરાણે હસી-મજાક કરીને માનસિક રીતે ટોર્ચર કર્યા હતા. જેના પગલે પ્રથમ વર્ષના કેટલાક વિદ્યાર્થીઓએ હિંમત દાખવીને તાત્કાલિક મેડિકલ કોલેજ સત્તાધિશો સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કોલેજ સત્તાધિશોએ તપાસ શરૂ કરી હતી. પૂછપરછના અંતે બીજા અને ત્રીજા વર્ષના 14 જેટલા વિદ્યાર્થીઓ રેગિંગની ઘટના માટે જવાબદાર હોવાનું સામે આવ્યું હતું. 14 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરાયાજોકે કોલેજ તંત્રએ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે તેમને કોલેજમાંથી કાઢી મૂકવાને બદલે માત્ર હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરવાનો નિર્ણય લઈ ભીનું સંકેલી દેવાની પેરવી કરાઈ છે. આ કસૂરવાર 14 વિદ્યાર્થીઓને તેમની સંડોવણીના આધારે 6 માસથી લઈને બે વર્ષ સુધીના સમયગાળા માટે હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરવામાં આવ્યા છે. ઉપરાંત તમામ 14 વિદ્યાર્થીઓના વાલીઓને પણ કોલેજ ખાતે બોલાવીને આ ગંભીર ઘટના અંગે વિગતે જાણ કરવામાં આવી હતી. સિનિયરોએ પટ્ટેથી માર મારીને ઉઠક-બેઠક કરાવીજોકે કોલેજ તંત્ર દ્વારા સત્તાવાર રીતે આ અંગે કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગાંધીનગર મેડિકલ કોલેજમાં ગત વર્ષે માર્ચ મહિનામાં પણ જુનિયર વિદ્યાર્થીને સિનિયરોએ પટ્ટેથી માર મારીને ઉઠક-બેઠક કરાવવાની ઘટના બની હતી. તે સમયે કોલેજ તંત્રએ દાખલારૂપ પગલાં લેવાને બદલે માત્ર માફીપત્ર લખાવીને મામલો દબાવી દીધો હતો. જો કોલેજ દ્વારા અગાઉના કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવી હોત, તો કદાચ આજના 14 વિદ્યાર્થીઓ રેગિંગ કરતા પહેલા બે વખત વિચાર કરતા હોત. રેગિંગના કારણે છાત્રના મૃત્યુની ઘટનાપાટણની ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગના કારણે છાત્રના મૃત્યુની ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા જગાવી હતી.જે બાદ તમામ મેડિકલ કોલેજોમાં યુજીસીની એન્ટિ-રેગિંગ માર્ગદર્શિકાનું કડક પાલન કરવા અને જાગૃતિ કાર્યક્રમો યોજવાની સૂચના અપાઈ હતી. જોકે ગાંધીનગર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષનો અભ્યાસ શરૂ થઈ ગયો હોવા છતાં હજી એન્ટી રેગિંગ કમિટીની બેઠક જ મળી નથી.
ભાવનગર શહેરમાં આજે વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના અકવાડા નજીક આવેલી દારૂલ ઉલુમ મદરેસાની જગ્યામાં આવતા દબાણો મનપાના દબાણ વિભાગ દ્વારા વિશાળ દળબળ સાથે દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મનપાના અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ વિભાગોની ટીમોએ સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરી છે. 1500 ચોરસ મીટર જેટલું દબાણ દૂર કરાશેભાવનગર શહેરના અકવાડા વિસ્તારમાં દારુલ ઉલમ મદરેસા આવેલી છે. જે મદરેસાની જગ્યામાં આવતા 6 ફ્લેટ, 1 હોસ્ટેલના 7થી 8 રૂમો, રહેણાંકના 6 ફ્લેટ પર મનપાનું જેસીબી ફેરવવામાં આવ્યું. જેમાં ઘોઘા રોડ અકવાડા લેકથી અધેવાડા ગામ સુધીને 24 મીટર ટીપી રોડમાં આવતા માર્ગ પર કરાયેલા દબાણો દૂર કરાયા છે. 4 જેસીબી, 2 હિટાચી મશીન, 2 ડમ્પર આ દબાણ કામગીરીમાં લાગ્યા છે. અંદાજિત 1500 ચોરસ મીટર જેટલું દબાણ દૂર કરવામાં આવશે. મનપા દ્વારા વહેલી સવારથી દબાણ હટાવ કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત જેમાં LCB, SOG જિલ્લા પોલીસવડા, PGVCL, ફાયરની ટીમ અને મનપાની દબાણ શાખા સાથે કરવામાં આવી રહી છે.
શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ અને પ્રાથમિક, માધ્યમિક તેમજ પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન તેમણે જિલ્લાની શૈક્ષણિક સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ ખંભાળિયા તાલુકાની દાંતા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બનતી વાનગીઓનો સ્વાદ ચાખી ભોજનની ગુણવત્તા ચકાસી હતી. શાળાના આચાર્ય પાસેથી શિક્ષણ સિવાય બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે થતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે પણ માહિતી મેળવી હતી. તેમણે શાળામાં નિર્માણાધીન બાંધકામની પણ મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં, મંત્રીએ ખંભાળિયા તાલુકાની વિંજલપર મોડલ સ્કૂલની મુલાકાત લીધી હતી. તેમણે બાળકોના શિક્ષણ, હોસ્ટેલ, ભોજન સહિતની તમામ આનુષંગિક વ્યવસ્થાઓની ચકાસણી કરી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે શાળા અને હોસ્ટેલમાં સ્વચ્છતા જાળવવા પર ખાસ ભાર મૂક્યો હતો. રાજ્ય શિક્ષણમંત્રીએ ખંભાળિયા સ્થિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે જિલ્લા શિક્ષણ વિભાગની સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે શિક્ષકોને બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવા, આગામી સમયમાં દરેક બાળક વાંચન, લેખન અને ગણનમાં સક્ષમ બને તે સુનિશ્ચિત કરવા અને વાલીઓને પણ બાળકના શિક્ષણ વિશે માહિતગાર કરવા જણાવ્યું હતું. શિક્ષણની સાથે બાળકોને આપણી સંસ્કૃતિ વિશે પણ માહિતી મળે તેવા પ્રયત્નો કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન, રાજ્ય શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ ખંભાળિયા તાલુકાની વિવિધ શાળાઓમાં બાળકો સાથે સંવાદ કર્યો હતો. તેમણે રસોડામાં તૈયાર થઈ રહેલા ભોજનનું જાતે નિરીક્ષણ કર્યું હતું અને બાળકો સાથે ભોજન પણ લીધું હતું. તેમણે છોકરીઓ સાથે પણ ભોજન લીધું અને તેમની સાથે વાતચીત કરી હતી. વર્ગખંડમાં બાળકોની બેન્ચ પર બેસીને તેમણે બાળકો સાથે વાંચન સહિતનો સંવાદ કર્યો હતો. મંત્રીએ શિક્ષકોને બાળકોના વિકાસ માટે કડક ભાષામાં જરૂરી સૂચનાઓ આપી હતી અને એક મહિના પછી પરિણામ જોવા માટે ફરી નિરીક્ષણ કરવાની વાત કરી હતી. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, અગ્રણી પી.એસ. જાડેજા, મયુરભાઈ ગઢવી, રસિકભાઈ નકુમ, લુણાભા સુમાણિયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છના ભીમસરમાં ગાંજાનું ખેતર ઝડપાયું:આડેસર પોલીસે 104 કિલો ગાંજો જપ્ત કર્યો, એકની ધરપકડ
કચ્છના રાપર તાલુકાના ભીમસર ગામેથી ગાંજાના વાવેતરનું એક મોટું ખેતર ઝડપાયું છે. આડેસર પોલીસે દરોડો પાડીને 52 લાખ રૂપિયાથી વધુની કિંમતનો 104 કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે. આડેસર પોલીસે વાડી વિસ્તાર, ભીમસર, તા. રાપરના રહેવાસી અરજણભાઈ દેવાભાઈ કોળીની ધરપકડ કરી છે. તેમની પાસેથી કુલ 104.300 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત 52,15,000 રૂપિયા આંકવામાં આવી છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી આડેસર પીઆઈ જે.એમ. વાળા અને તેમના સ્ટાફ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરોડાની કાર્યવાહી કલાકો સુધી ચાલી હતી. પોલીસે આ અંગે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આડેસર પીઆઈ જે.એમ. વાળાએ જણાવ્યું કે, બાતમીના આધારે ભીમસર ગામે દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં ખેતરમાં વાવેતર કરાયેલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. NDPSના ગુનામાં પકડાયેલા આ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાપર તાલુકાના બારદરગઢ ગામ નજીકથી પણ 2.76 લાખ રૂપિયાની કિંમતના ગાંજાના છોડ સાથે એક વ્યક્તિ ઝડપાયો હતો, જે દર્શાવે છે કે વાગડ વિસ્તારમાં માદક પદાર્થના સેવનની પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે.
હિંમતનગરના કાંકણોલમાં ટ્રેક્ટર રિવર્સ થયું:ઘર આગળ ઊભેલા ખેડૂતને ગંભીર ઈજા, ઘટના CCTVમાં કેદ
હિંમતનગર તાલુકાના કાંકણોલ ગામે એક અનોખી ઘટના બની છે. ઘર આગળ પાર્ક કરેલું ટ્રેક્ટર ડ્રાઈવર વગર અચાનક રિવર્સ થતાં એક ખેડૂત ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કાંકણોલ ગામના જયેશભાઈ ડાહ્યાભાઈ પટેલના ઘરે શનિવારે ઘર આગળ ટ્રેક્ટર પાર્ક કરેલું હતું. ઘર આગળના ઢાળને કારણે ટ્રેક્ટર આપોઆપ રિવર્સ થવા લાગ્યું હતું. જયેશભાઈ પટેલ દરવાજા પર પીઠ ફેરવીને ઊભા હતા ત્યારે તેમને જાણ બહાર ટ્રેક્ટરના આગળ અને પાછળના ટાયર તેમના શરીર પર ફરી વળ્યા હતા. આથી તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત જયેશભાઈને તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગરની પ્લુટો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બોટાદ જિલ્લામાં સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ Tobacco Free Youth Campaign 3.0 (TFYC) અંતર્ગત તમાકુ વિરોધી કાયદાનાં કડક અમલીકરણ માટે ટાસ્ક ફોર્સ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી. એ. ધોળકિયા તથા એપિ ડેમિક મેડિકલ ઓફિસર ડો. આર. આર. ચૌહાણના નિયંત્રણમાં જિલ્લાનાં તમામ તાલુકાઓમાં તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા તમાકુ નિયંત્રણના નિયમોનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનને વધુ અસરકારક બનાવવા બોટાદ જિલ્લાના ટાટમ અને કાનીયાડ ગામોમાં એક સાથે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. ચેકિંગ દરમિયાન 18 જેટલા પાન-ગલ્લા, દુકાનદારો અને નાનાં-મોટાં વેપારીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં 15 દુકાનદારો પાસેથી રૂ.270 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ટાસ્ક ફોર્સ દ્વારા ખાસ કરીને “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ – COTPA 2003”નાં નિયમોનું ઉલ્લંઘન કરતી પ્રવૃત્તિઓને રોકવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. 18 વર્ષથી ઓછી વયનાં વ્યક્તિને તમાકુ નું વેચાણ, સિગા રેટ–બીડીનું છૂટક વેચાણ, આરોગ્ય ચેતવણી વિના પેકેટોનું વેચાણ, તેમજ શાળા આસપાસ તમાકુ વેચાણ પર પ્રતિબંધ જેવી મહત્વની બાબતો અંગે વેપારીઓને સમજાવટ સાથે કાયદેસર પગલાં લેવામાં આવ્યાં હતાં. ઉપરાંત બીલ વિના વેચાતી ઈમ્પોર્ટેડ સિગારેટ જેવી બિનઅધિકૃત વસ્તુઓની પણ તપાસ હાથ ધરાઈ હતી.આ કામગીરીમાં પ્રા. આરોગ્ય કેન્દ્ર ટાટમના મેડિકલ ઓફિસર ડો. વિશાલ કણઝરીયા, તાલુકા સુપરવાઈઝર હિતેશભાઈ બી.પટેલ, એચ.પી.એચ.ડબલ્યુ. યોગેશભાઈ મેર, તેમજ પ્રા. આરોગ્ય કેન્દ્ર કાનીયાડના મેડિકલ ઓફિસર ડો. સેજલબેન ભૂત, સુપરવાઈઝર પીયુષભાઈ ખાવડીયા અને પોલીસ વિભાગનાં રાજુભાઈ અણીયાળીયા વિગેરે જોડાયા હતા.
પોલીસ મહાનિર્દેશક તથા મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં છેલ્લા 30 વર્ષ દરમિયાન વિવિધ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનું ચેકિંગ હાથ ધરવાના અભિયાનના આદેશ આપવામાં આવ્યા હતા. જે અભિયાન અંતર્ગત અમદાવાદ રેન્જ આઇજી વિધિ ચૌધરી તથા ઓમ પ્રકાશ જાટ અધિક્ષક અમદાવાદ જિલ્લા ગ્રામ્યના સીધા માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં વિશાળ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાને ધ્યાનમાં લઇ અમદાવાદ જિલ્લા ગ્રામ્યના નાયબ પોલીસ અધિકારી-4, પોલીસ ઇન્સ્પેક્ટર- 25, પોલીસ સબ ઇન્સ્પેક્ટર-52, પોલીસ કર્મીઓ- 350થી વધુ આમ 400થી વધુ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ આ અભિયાનમાં જોડાયા હતા. 100 કલાકની સ્પેશિયલ ડ્રાઈવમાં છેલ્લા 30 વર્ષના ગંભીર ગુનાઓ જેવા કે હથિયાર ધારા, NDPS એક્ટ, Exmplosive એક્ટ, બનાવટી ચલણી નોટ (FICN), TADA, POTA, MCOCA તેમજ UAPA અને પેટ્રોલિયમ એક્ટ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. 960 આરોપીઓની વિગતવાર પૂછપરછ તેમની વર્તમાન પ્રવૃત્તિઓ અંગે માહિતી, જરૂરી દસ્તાવેજોની તપાસ તેમજ તેમના અધ્યતન ફોટોગ્રાફ્સ મેળવી પ્રોફાઈલ અપડેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ ઉપરાંત અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ ગેસ્ટ હાઉસો, હોટલો અને મકાન ભાડુંઆતોનું રજીસ્ટ્રેશન સહિતની કામગીરી પણ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી હતી. આ અભિયાનનો પોલીસને મુખ્ય હેતુ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવી, ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ પર કડક દેખરેખ રાખવી અને ભવિષ્યમાં કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવાનું છે.

28 C