SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
... ...View News by News Source

ગુમ બાળકીની હત્યા:ગાંધીનગરના રાયપુરથી ગુમ 9 વર્ષની બાળકીની પ્લાસ્ટિક કોથળામાં પેક કરેલી લાશ મળી આવતાં ચકચાર

ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારના રાયપુર ગામમાંથી ગઈકાલે બપોરે ગુમ થયેલી 9 વર્ષ 11 મહિનાની બાળકીની આજે રાત્રે તેના ઘર નજીકથી જ પ્લાસ્ટિકની થેલીમાં પેક કરેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર પંથક માં ભારે ચકચાર મચી ગઈ છે. બાળકીનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાયા બાદ આ કરુણ અને સનસનીખેજ ઘટના સામે આવી છે. જેને પગલે હાલમાં ગાંધીનગર એસપી તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. મળતી વિગત મુજબ, રાયપુર ગામના રામાપીર વાળા વાસમાં રહેતા કાળુભાઈ ડાહ્યાભાઈ રાવળ (ધંધો: ડ્રાઈવિંગ)ની પુત્રી જનક ઉર્ફે જાનુ ગત તા.12 મી નવેમ્બરના સવારના આશરે દશેક વાગ્યાના સુમારે ક્યાંક જતી રહી હતી. બાળકી ગુમ થતાં તેના પિતા કાળુભાઈ રાવળે કોઈ અજાણ્યા વ્યક્તિ તેનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયું હોવાની શંકા સાથે ડભોડા પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે બાળકીની શોધખોળ શરૂ કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ તેની જાહેરાત કરી હતી. જોકે, આ બાળકીની શોધખોળ અંતે કરુણ ઘટનામાં પરિણમી છે. આજે રાત્રે બાળકીનું પરિવાર જે મકાનમાં રહે છે તેની પાછળના ભાગે આવેલી એક ઓરડીની ઓસરીમાંથી શંકાસ્પદ હાલતમાં એક પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. તપાસ કરતાં આ થેલીમાં જ ગુમ થયેલી બાળકી જનક ઉર્ફે જાનુની લાશ પેક કરેલી હાલતમાં મળી આવી હતી. નાની બાળકીની હત્યા કરીને લાશને પ્લાસ્ટિક કોથળામાં છુપાવી દેવાની ઘટનાની ગંભીરતાને જોતાં જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમની સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેમજ FSL ની ટીમ પણ પહોંચી ગઈ છે. પોલીસે લાશનો કબજો મેળવીને હત્યા અને અપહરણના ભેદ ઉકેલવા માટે સઘન તપાસ શરૂ કરી દીધી છે. FSL ટીમ દ્વારા લાશ અને ઘટનાસ્થળ પરથી મહત્ત્વપૂર્ણ પુરાવા એકઠા કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જ્યારે LCBની ટીમે પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી દીધી છે. આ અંગે પોલીસે કહ્યું કે, બાળકીનું ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું લાગી રહ્યું છે. જેની સાથે અઘટિત કૃત્ય થયું છેકે નહીં એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 1:03 am

રાજકોટમાં માતા બની નિર્દયી:2 દીકરીઓને મોતને ઘાટ ઉતારી દીધી, પછી આત્મહત્યા કરી પોતે પણ ટૂંકાવ્યો જીવ

રાજકોટમાં વધુ એક કરુણ ઘટના સામે આવી છે. શહેરના નવાગામ વિસ્તરમાં આવેલી શક્તિ સોસાયટીમાં માતાએ બે દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને બાદમાં પોતે પણ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી હતી અને તેમણે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે. નવાગામ શક્તિ સોસાયટી શેરી નંબર- 6માં રહેતા અસ્મિતાબેન જયેશભાઈ સોલંકીએ પોતાની બે દીકરીને પ્રિયાંશી જયેશભાઇ સોલંકી (ઉ.વ.7) અને હર્ષિતા જયેશભાઇ સોલંકી (ઉ.વ.5) ગળેફાંસો આપી હત્યા નિપજાવી હતી. ત્યારબાદ, પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જો કે, આત્મહત્યાની આ ઘટનામાં મહિલાએ આ પગલું કેમ ભર્યુ એના વિશેનું કારણ હજુ જાણવા મળ્યું નથી. એક માતાએ પોતાની બે માસૂમ પુત્રીને ગળેફાંસો આપીને હત્યા નીપજાવ્યા પછી પોતે પણ જીવ ટૂંકાવી લેતા પોલીસ તંત્ર દોડતું થયું છે અને સમગ્ર ઘટના અને તેના કારણ અંગે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 12:15 am

વડોદરામાં સગીરા પર દુષ્કર્મ:17 વર્ષીય સગીરાનું અપહરણ કરીને વારંવાર ગુજારનાર યુવક ફરદીનની ધરપકડ, લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું

વડોદરા જિલ્લાના સમીયાલા ગામે રહેતા યુવકે હિન્દુ 17 વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને તેનું અપહરણ કરી ભગાડી લઈ ગયો હતો. ત્યારબાદ અલગ અલગ જગ્યાઓ પર તેના સંબંધીના ઘરે રાખીને તેની સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. ગોત્રી પોલીસે દુષ્કર્મ ગુજારનાર યુવક અને સગીરાને શોધી કાઢ્યા બાદ આરોપીની ધરપકડ કરી મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી છે. વડોદરા જિલ્લાના સમિયાલા ગામે રહેતા ફરદીન ફિરોજ ઘાંચી (ઉં.વ.21) વડોદરામાં આરઓની દુકાનમાં નોકરી કરે છે અને સોશિયલ મિડીયાનો પણ ઉપયોગ કરી છે. ત્યારે આ સોશિયલ મીડિયા દ્વારા આ યુવકનો 17 વર્ષીય સગીરા સાથે સંપર્ક થયો હતો. તે દરમિયાન યુવકે સગીરા સાથે સતત ચેટિંગ કરીને કોલ કરવા માટે મોબાઇલ નંબર મેળવી લીધો હતો. ત્યારબાદ સગીરા સાથે યુવક મીઠી મીઠી વાતો કરીને તેને પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ સગીરાને યુવક ભગાડી ગયો હતો. સગીરાના પિતાએ તેમની દીકરીનું અપહરણ થયું હોવાની ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેથી ગોત્રી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને સગીરા અને યુવકની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ગોત્રી પોલીસ દ્વારા બંને શોધી કાઢ્યા હતા. દરમિયાન પોલીસે સગીરાની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં સગીરાએ કહ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી યુવક તેની સાથે પ્રેમ સંબંધમાં હતો. ત્યારે મને ફરવા લઈ જવાના બહાને તેના અલગ વિસ્તારોમાં રહેતા સંબંધીઓના ઘરે રાખતો હતો અને લગ્નની લાલચ આપીને મારી સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું જણાવ્યું હતું. ગોત્રી પોલીસે સગીરાને તેના માતા પિતાને સોંપ્યા બાદ આરોપી ફરદીન ઘાંચીની ધરપકડ કરી મેડિકલ કરવાની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 11:35 pm

તાપીમાં વિદ્યાર્થીઓએ બિરસા મુંડાની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવી:જનજાતિ ગૌરવ વર્ષ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું

તાપી જિલ્લામાં જનજાતિ ગૌરવ વર્ષ નિમિત્તે અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અવસર પર શાળાના વિદ્યાર્થીઓએ અનોખી રીતથી ભગવાન બિરસા મુંડાજીની પ્રતિકૃતિ માનવ સાંકળ બનાવી રજૂ કરી. બાળકોના ઉત્સાહ અને સર્જનાત્મકતાથી બનેલી આ જીવંત પ્રતિકૃતિ સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની રહી. કાર્યક્રમમાં તાપી જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા અધિકારીઓ, ધારાસભ્ય મોહન કોકણી તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓના આ ઉત્કૃષ્ટ પ્રયત્નની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે બિરસા મુંડાજી જેવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ આદિવાસી સમાજમાં આત્મગૌરવ અને હક્કોની જાગૃતિ ફેલાવી હતી. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને જનજાતિ હીરો પ્રત્યે આદરની ભાવના જાગી. સમગ્ર તાપી જિલ્લામાં આ અનોખી માનવ સાંકળથી બનેલી બિરસા મુંડાજીની પ્રતિમા લોક આકર્ષણનું કેન્દ્ર બની રહી.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 10:26 pm

દિલ્હી કાર વિસ્ફોટ બાદ અરવલ્લી બોર્ડર પર કડક ચેકિંગ:શામળાજી ચેકપોસ્ટ પર 100થી વધુ પોલીસ જવાનો તૈનાત

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટ બાદ સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે ગુજરાત પોલીસ પણ સતર્ક બની છે. અરવલ્લી જિલ્લા પોલીસે ગુજરાત-રાજસ્થાન સરહદ પર સઘન ચેકિંગ હાથ ધર્યું છે. આતંકી ઘટના બાદ સુરક્ષા વિભાગે તમામ સરહદી વિસ્તારોમાં કડક તપાસ શરૂ કરી છે. અરવલ્લી જિલ્લા પોલીસે શામળાજી નજીક આવેલી અણસોલ ચેકપોસ્ટ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગમાં અરવલ્લી જિલ્લાના DySP, LCB અને શામળાજી પોલીસ સ્ટેશનના 100થી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા. તેઓએ રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશ તરફથી આવતા હજારો નાના-મોટા વાહનોની ઝીણવટભરી તપાસ કરી હતી. આ ચેકિંગનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો હતો કે અન્ય રાજ્યોમાંથી કોઈ અસામાજિક તત્વો શંકાસ્પદ વસ્તુઓ લઈને ગુજરાતમાં પ્રવેશી ન શકે અને રાજ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 10:21 pm

હિંમતનગરમાં નવ દિવસીય શિવકથાનો પ્રારંભ:પોથીયાત્રા સાથે જલારામ મંદિર પાસે કથા શરૂ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ડેમાઈ રોડ પર આવેલા જલારામ મંદિર પાસેના કોમન પ્લોટમાં નવ દિવસીય શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો છે. ગૌશાળાના લાભાર્થે આયોજિત આ કથા ગુરુવારથી શરૂ થઈ છે. કથાના પ્રારંભ પૂર્વે જલારામ મંદિર પાસે આવેલી આશાપુરા સોસાયટીમાંથી પોથીયાત્રા કાઢવામાં આવી હતી. યજમાનો સાથે મહિલાઓએ માથે પોથીઓ ધારણ કરીને વાજતે ગાજતે જલારામ ધામ સોસાયટીના કોમન પ્લોટ સુધી પહોંચી હતી. ત્યાં વ્યાસપીઠ પર પોથીને બિરાજમાન કરીને પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ કથાનો વિધિવત પ્રારંભ થયો હતો. આ શિવકથા 13 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી નવ દિવસ ચાલશે. દરરોજ બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય શ્રી ગણેશબાપુ દ્વારા શિવકથાનું રસપાન કરાવવામાં આવશે. આ નવ દિવસ દરમિયાન મહાશિવરાત્રી, શિવલિંગ પૂજા, શિવ-પાર્વતી વિવાહ અને બાર જ્યોતિર્લિંગ પૂજા જેવા વિવિધ ધાર્મિક પ્રસંગોની પણ ઉજવણી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 10:20 pm

રાજકોટ-જેતપુર સિક્સ લેનનું કામ ઝડપથી પૂર્ણ કરો:કેન્દ્રીય મંત્રી માંડવીયાનો નેશનલ હાઇ-વે ઓથોરિટીને આદેશ, દૈનિક લાખો લોકોને પડતી મુશ્કેલી હવે દેખાઈ

રાજકોટ-જેતપુર સિક્સ લેનના ચાલી રહેલા કામના કારણે દૈનિક લાખો લોકોને પડતી મુશ્કેલી કેન્દ્રીય મંત્રીને હવે દેખાઈ હોય તેમ આજે સર્કિટ હાઉસમાં બેઠક કરી હતી. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયાએ નેશનલ હાઈવે ઓથોરિટી સાથે કરેલી બેઠકમાં સિક્સ લેન હાઇવેનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા માટે આદેશ આપ્યો હતો. સર્કિટ હાઉસ ખાતે રાજકોટ-જેતપુર નેશનલ હાઈ-વે સંદર્ભે મહત્વની બેઠક યોજી કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ સર્કિટ હાઉસ ખાતે રાજકોટ-જેતપુર નેશનલ હાઈ-વે સંદર્ભે મહત્વની બેઠક યોજી હતી. જેમાં તેમણે નેશનલ હાઇ-વે ઓથોરિટીના અધિકારીઓને હાઇ-વેની કામગીરી વહેલાસર પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી. તેમણે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ પાસેથી રાજકોટ-જેતપુર નેશનલ હાઈ-વેની હાલ ચાલી રહેલી કામગીરીની પ્રગતિની વિગતો જાણી હતી. કામગીરી જલ્દી પૂર્ણ થાય એવી વ્યવસ્થા ગોઠવવા પર ભાર મૂક્યો તેમણે આ કામગીરીને ઝડપી બનાવવા માટે સૂચના આપી હતી. આ માટે જરૂરી માનવબળ અને મશીનરી વધારવા તાકીદ કરી હતી તેમજ સમયમર્યાદાનો લક્ષ્યાંક નક્કી કરીને નિર્ધારિત સમયમાં જ કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી. કેન્દ્રીય મંત્રીએ નેશનલ હાઇવે સબંધિત વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરીને વાહનચાલકો તથા લોકોને અગવડ ન પડે અને કામગીરી જલ્દી પૂર્ણ થાય એવી વ્યવસ્થા ગોઠવવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાઆ બેઠકમાં રાજકોટના જન પ્રતિનિધિઓ, વિવિધ વેપારી તેમજ ઔદ્યોગિક સંગઠનના અગ્રણીઓએ નેશનલ હાઈવે સંબંધિત વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. જેને કેન્દ્રીય મંત્રીએ સાંભળ્યા હતા અને આ પ્રશ્નોનો સ્થાનિક જન પ્રતિનિધિઓ, વિવિધ ઔદ્યોગિક એસોસીએશન્સના અગ્રણીઓ તેમજ સ્થાનિક લોકો સાથે મળીને ઉકેલ લાવવા માટે નેશનલ હાઇવે ઓથોરિટીને સૂચના આપી હતી. આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ, મેયર, જિલ્લા ક્લેક્ટર ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, વિવિધ વેપારી સંગઠનો તથા ઔદ્યોગિક સંગઠનોના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 10:08 pm

આહવામાં 17 નવેમ્બરે રાષ્ટ્રીય એકતા પદયાત્રા:સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે બે હજારથી વધુ લોકો જોડાશે

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલયના “માય ભારત” દ્વારા દેશભરમાં “સરદાર@150 : યુનિટી માર્ચ”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રાષ્ટ્રીય પહેલનો મુખ્ય હેતુ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને સામાજિક જવાબદારીની ભાવનાઓને મજબૂત કરવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “જનભાગીદારીથી રાષ્ટ્રનિર્માણ”ના વિઝનથી પ્રેરિત આ પહેલ અંતર્ગત ડાંગ જિલ્લામાં પણ 17 નવેમ્બરના રોજ આહવા ખાતે રાષ્ટ્રીય એકતા પદયાત્રા યોજાશે. આ આયોજન અંગે માહિતી આપવા માટે જિલ્લા કલેક્ટર શાલિની દુહાનના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો અને દેશપ્રેમના આદર્શો આજની પેઢીમાં જીવંત રહે તે માટે રાજ્યની દરેક વિધાનસભા બેઠક દીઠ એક પદયાત્રાનું આયોજન કરાયું છે. ડાંગ જિલ્લાના 173 – ડાંગ વિધાનસભા અંતર્ગત યોજાનાર આ પદયાત્રામાં આશરે બે હજાર જેટલા લોકો જોડાશે. જેમાં જિલ્લા અધિકારીઓ, પદાધિકારીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, એન.સી.સી. અને એન.એસ.એસ. કેડેટ્સ, સહકારી મંડળીઓ, રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ, રમતવીરો, ઉદ્યોગકારો, પ્રગતિશીલ કિસાનો, ઈન્ફ્લુએન્સર્સ તથા સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે. પદયાત્રાનું પ્રસ્થાન સવારે 9 વાગ્યે આહવા ફુવારા સર્કલથી થશે. અહીં સરદાર પટેલજીની પ્રતિમાને પુષ્પાંજલિ અને માલ્યાર્પણ કર્યા બાદ યાત્રા લશકર્યા સર્કલ સુધી આગળ વધશે. માર્ગમાં આત્મા ટ્રેનિંગ સેન્ટર અને બોરખેત પ્રાથમિક શાળા ખાતે સ્વાગત પોઇન્ટ્સ રાખવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ દળો, આરોગ્ય ટીમો અને તંત્રના અધિકારીઓ તૈનાત રહેશે. જિલ્લા કલેક્ટરે તમામ નાગરિકોને આ રાષ્ટ્રીય એકતા પદયાત્રામાં જોડાઈ સરદાર સાહેબના એકતાના સંદેશને જીવંત રાખવા અપીલ કરી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર ડો. વી.કે. જોશીએ પણ કાર્યક્રમની વિગતવાર માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 10:07 pm

સુરત મનપાએ મેટ્રો સ્ટેશન માટે 2157ચો.મી. જગ્યા ફાળવી:જહાંગીરાબાદ, અડાજણ અને કાપોદ્રામાં જમીન ફાળવણીથી મનપાને 99 વર્ષના એડવાન્સ ભાડા પેટે 8.17 કરોડની આવક થશે

સુરત શહેરમાં ચાલી રહેલા મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાની કામગીરીને વેગ આપવા માટે મહાનગરપાલિકાએ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડને વધુ જમીનોની ફાળવણી કરવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે જહાંગીરાબાદ, અડાજણ અને કાપોદ્રા ખાતે મેટ્રો સ્ટેશન સંબંધિત માળખાકીય સુવિધાઓ માટે કુલ 2,157 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવશે. આ ફાળવણીથી મહાપાલિકાને પ્રીમિયમ અને 99 વર્ષના એડવાન્સ ભાડા પેટે કુલ 8.17 કરોડ રૂપિયાની આવક થશે. મહાપાલિકા કમિશનર શાલિની અગ્રવાલે GMRCની માંગણીના પગલે આ જમીનોના એલોટમેન્ટ લેટર જારી કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ જમીનનો ઉપયોગ મેટ્રો સ્ટેશનના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ, એન્સીલરી બિલ્ડીંગ અને વીજ પુરવઠા માટે રીસીવિંગ સબ-સ્ટેશન જેવી આવશ્યક સુવિધાઓ ઊભી કરવા માટે કરવામાં આવશે. મેટ્રો સ્ટેશન માટે કયા વિસ્તારોમાં જમીન ફાળવાઈ? સરકારના નવા પરિપત્રોથી આવકમાં વધારોઆ જમીન ફાળવણી સુરત મહાનગરપાલિકા માટે આર્થિક દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ છે, કારણ કે રાજ્ય સરકારે તાજેતરમાં જમીન ફાળવણી અંગેના નિયમોમાં ફેરફાર કર્યા છે. અગાઉ, મહાપાલિકા સરકારી એજન્સીઓ અને કોર્પોરેશનોને બજાર કિંમત કરતાં ઓછા ભાવે અથવા જંત્રીના ભાવે જમીન ફાળવતી હતી, જેના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને નુકસાન થતું હતું. ખાસ કરીને શહેરી વિકાસ વિભાગ હેઠળની સંસ્થાઓને 50 ટકા ભાવે જમીન અપાતી હતી. જોકે, પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા આ મુદ્દે સરકારનું ધ્યાન દોરવામાં આવતાં, રાજ્ય સરકાર દ્વારા નવા પરિપત્રો બહાર પાડવામાં આવ્યા છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) સહિતની સરકારી એજન્સીઓને હવે પછી ફાળવવામાં આવતી જમીનો માટે બજાર ભાવે કિંમત ચૂકવવી પડશે. આ ફેરફાર 'ડિસ્પોઝલ ઓફ લેન્ડ એન્ડ અધર પ્રોપર્ટીઝ રેગ્યુલેશન-2002' હેઠળની પ્રક્રિયા મુજબ કરવામાં આવ્યો છે. આ નવા નિયમો લાગુ થયા પહેલાં જે જમીનો 'જંત્રીના ભાવે' GMRCને આપવામાં આવી છે, તે ફાળવણી માન્ય ગણાશે. સરકારના આ નવા નિયમોને કારણે હવે સુરત મહાનગરપાલિકાને લાંબા ગાળે મોટી આર્થિક મદદ ઊભી થશે. ગેટકો અને જેવી સંસ્થાઓને બજાર કિંમતે જમીન ફાળવવાથી મહાપાલિકાની મહેસૂલી આવકમાં નોંધપાત્ર વધારો થશે, જેનો ઉપયોગ શહેરના અન્ય વિકાસ કાર્યોમાં થઈ શકશે. આ તાજેતરની ફાળવણીમાં મહાપાલિકાને મળેલી 8.17 કરોડની આવક આ નવા આર્થિક મોડેલની શરૂઆત દર્શાવે છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 10:03 pm

'24 કલાક પાણી' યોજનાનો શનિવારથી વિધિવત પ્રારંભ:તમામ સેક્ટરોમાં એકસાથે પ્રતિ કલાક 40 લાખ લિટરના પ્રેશરથી પાણીનો સપ્લાય મળશે, સવારનો બે કલાકનો સપ્લાય બંધ

ગાંધીનગરને સ્માર્ટ સિટી બનાવવાની દિશામાં વધુ એક મહત્ત્વનું પગલું લેવાયું છે. શહેરમાં 24 કલાક પાણી પુરવઠાની મહત્વાકાંક્ષી યોજના હવે અંતિમ તબક્કે પહોંચી ગઈ છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા કરવામાં આવેલી તમામ તૈયારીઓ પૂર્ણ થતાં આગામી 15મી નવેમ્બરને શનિવારથી તમામ સેક્ટરોમાં 24 કલાક પાણીનો સપ્લાય શરૂ કરવામાં આવશે. શનિવારથી તમામ સેક્ટરોમાં 24 કલાક પાણીનો સપ્લાય શરૂપાણી પુરવઠા બોર્ડ દ્વારા કરવામાં આવેલી તમામ તૈયારીઓ પૂર્ણ થતાં આગામી 15મી નવેમ્બરને શનિવારથી તમામ સેક્ટરોમાં 24 કલાક પાણીનો સપ્લાય શરૂ કરવામાં આવશે. જેના પગલે પાટનગર યોજના વિભાગ દ્વારા અત્યાર સુધી દરરોજ સવારે આપવામાં આવી રહેલો બે કલાકનો પરંપરાગત પાણી પુરવઠો હવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. છેલ્લા બે મહિનાથી જૂના અને નવા સેક્ટરોમાં ટ્રાયલ રન ચાલી રહ્યો હતોઆખરે ભારે વિલંબ અને વિવાદો બાદ ગાંધીનગરમાં 24 કલાક પાણી આપવાની યોજના સાકાર થઈ રહી છે. શરૂઆતના તબક્કામાં મુશ્કેલીઓનો સામનો કર્યા પછી છેલ્લા છ મહિનાથી પાણી પુરવઠા બોર્ડે કામગીરીમાં ઝડપ દાખવીને સંપૂર્ણ માળખું તૈયાર કરી દીધું છે. છેલ્લા બે મહિનાથી જૂના અને નવા સેક્ટરોમાં ટ્રાયલ રન ચાલી રહ્યો હતો. આ ટ્રાયલ રન દરમિયાન કોઈ વિક્ષેપ સર્જાય અને રહેવાસીઓ પાણીથી વંચિત ન રહે તે માટે સવારનો બે કલાકનો સપ્લાય યથાવત્ રખાયો હતો. હવે ટ્રાયલ રનનો તબક્કો પણ પૂર્ણતાના આરે હોવાથી 15મી નવેમ્બરથી તમામ સેક્ટરોમાં એકસાથે 24 કલાક પ્રતિ કલાક 40 લાખ લિટરના પ્રેશરથી પાણીનો સપ્લાય મળશે. સમગ્ર શહેરમાં હાલ 65 MLD પાણીનું વિતરણ કરવામાં આવે છે. જે જથ્થો યથાવત રાખવામાં આવ્યો છે. હવે નવા નિયમ મુજબ પાણીના વપરાશ પ્રમાણે બિલની ગણતરી થશેગાંધીનગરમાં 15મી નવેમ્બરથી 24 કલાક પાણી પુરવઠાની યોજના શરૂ થઈ રહી છે ત્યારે આ યોજનાનો એક મહત્વનો ભાગ એટલે પાણીના મીટર આધારિત બિલિંગ સિસ્ટમ છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા શહેરના દરેક ઘર અને યુનિટમાં પાણીના મીટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. નાગરિકોને હવે તેમના મીટર રીડિંગના આધારે માસિક અથવા દ્વિ-માસિક બિલ મોકલવામાં આવશે. અત્યાર સુધી ગાંધીનગરના રહેવાસીઓ ફ્લેટ રેટ પર પાણીનું બિલ ચૂકવતા હતા પરંતુ, હવે નવા નિયમ મુજબ પાણીનો વપરાશ કેટલો થાય છે તેના આધારે બિલની ગણતરી થશે. આ નવી વ્યવસ્થાના અમલ દરમિયાન લિકેજીસ કે અન્ય કોઈ સમસ્યા ઉપસ્થિત ન થાય તે માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા સેક્ટર વાઇઝ ફરિયાદ નિવારણ નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. નગરજનોને કોઈ પણ પ્રશ્ન કે સમસ્યા હોય તો તેઓ પોતાના સેક્ટર મુજબના નંબરો પર સંપર્ક કરી શકશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 9:59 pm

મોબાઈલ માટે યુવકની હત્યા કરનારને આજીવન કેદની સજા:ભચાઉ સેશન્સ કોર્ટે છ વર્ષ જૂના હત્યા કેસમાં આરોપી શબ્બીરને સજા ફટકારી

ભચાઉ સેશન્સ કોર્ટે મોબાઈલ ફોનની લૂંટ માટે યુવકની હત્યા કરવા બદલ આરોપી શબ્બીર ઉર્ફે સબલો ભટ્ટીને આજીવન કેદની સજા ફટકારી છે. આ ચુકાદો છ વર્ષ જૂના હત્યા કેસમાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના વર્ષ 2019માં ભચાઉ નગરના મણિનગર વિસ્તારમાં બની હતી. 21 વર્ષીય મહેશ કાના કોલી રાત્રિના સમયે ઘરની બહાર નીકળ્યો હતો. તે સમયે એ જ વિસ્તારમાં રહેતા શબ્બીર ભટ્ટીએ તેને રોકી મોબાઈલ ફોનની માંગણી કરી હતી. મહેશ કોલીએ મોબાઈલ આપવાનો ઇનકાર કરતા, શબ્બીર ભટ્ટીએ પોતાની પાસે રહેલી છરી વડે તેના શરીર પર ઉપરાછાપરી ઘા મારી હત્યા કરી હતી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ તે તેના સગીર મિત્ર સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તત્કાલીન તપાસનીશ પીઆઇ બી.એસ. સુથારે મૃતકના પિતા કાના જગા કોલીની ફરિયાદના આધારે આરોપી શબ્બીર ભટ્ટીને પકડી પાડ્યો હતો. પોલીસે મજબૂત ચાર્જશીટ બનાવી કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. ભચાઉ સેશન્સ કોર્ટે તમામ દસ્તાવેજી પુરાવાઓ ચકાસી શબ્બીર ભટ્ટીને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે તેને આજીવન સખત કેદની સજા ફટકારી છે. સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ફરિયાદ પક્ષે કોર્ટ સમક્ષ અસરકારક દલીલો રજૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 9:51 pm

રાજકોટના સોની વેપારી સાથે 18 લાખની છેતરપિંડી:જામનગરની યુવતી અને શખ્સે પિતા-પુત્રીની ખોટી ઓળખ આપી ફાઇનાન્સ કંપનીમાંથી સોનું છોડાવવાના બહાને રકમ પડાવી

રાજકોટના એક સોની વેપારી સાથે જામનગરમાં 18 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. પિતા-પુત્રી તરીકેની ખોટી ઓળખ આપીને બે શખ્સોએ ખાનગી ફાઇનાન્સ કંપનીમાંથી સોનું છોડાવવાના બહાને વેપારી પાસેથી આ રકમ પડાવી લીધી હતી. રકમ જમા કરાવ્યા બાદ સોનું ન આપીને બંને ફરાર થઈ ગયા હતા, જેથી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે રાજકોટના નીલકંઠ પાર્ક, શેરી નંબર ત્રણમાં રહેતા અને સોના-ચાંદીનો શોરૂમ ધરાવતા સાહિલ પરેશભાઈ પાલા નામના સોની વેપારીએ જામનગરના સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે રાજકોટના આલાભાઇ નકુભા ઝડફવા અને જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતી સેજલબેન સંજયભાઈ રાયચુરા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. ફરિયાદ મુજબ, આલાભાઇ ઝડફવાએ રાજકોટના સોની વેપારીઓનો સંપર્ક કર્યો હતો. તેમણે સેજલબેન રાયચુરાને પોતાની પુત્રી તરીકે ખોટી રીતે ઓળખાવી હતી, જોકે તે તેમની પુત્રી નહોતી. આ ખોટી ઓળખ આપીને બંનેએ સોની વેપારી પાસેથી 18 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આરોપીઓએ વેપારીને પ્રલોભન આપ્યું હતું કે સેજલબેનનું લાલ બંગલા વિસ્તારમાં આવેલી એક ખાનગી ફાઇનાન્સ કંપનીમાં 27 તોલા સોનું ગીરવે મૂકેલું છે, જેને છોડાવવા માટે 18 લાખ રૂપિયાની જરૂર છે. આ બહાને તેમણે સોની વેપારીને જામનગર બોલાવ્યા હતા અને ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી બેંકના ખાતામાં 18,06,000 રૂપિયા જમા કરાવી લીધા હતા. રકમ જમા થયા બાદ, આરોપીઓએ વેપારીને જણાવ્યું કે તેઓ લાલ બંગલાની બ્રાન્ચમાંથી સોનું છોડાવીને આપે છે. તેઓ લાલ બંગલા વિસ્તારમાં પહોંચ્યા ત્યારે સોની વેપારીને કારમાં બેસાડી રાખ્યા હતા. સૌપ્રથમ સેજલબેન અને ત્યારબાદ આલાભાઇ ઝડફવા ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આખરે, સોની વેપારીએ સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પીએસઆઇ વી. એ. પરમાર આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 9:46 pm

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું:ભાવનગર શહેર અને જિલ્લાનાં ડાયગ્નોસ્ટીક ક્લિનિકોમાં CCTV કેમેરા તેમજ તેનો ડેટા સાચવવા અંગેનું જાહેરનામું બહાર પડાયું

ભાવનગર જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત રજિસ્ટર્ડ ક્લિનિક ખાતે CCTV કેમેરા મૂકવા અંગે જિલ્લા એડવાઈઝરી કમિટીની મિટિંગમાં થયેલા સૂચનાના પગલે ભાવનગર શહેર અને જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં પ્રિ-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ ક્લિનિક માટે ક્લિનિક પર CCTV કેમેરા લગાવવા અને તેનો ડેટા 3 માસ સુધી જાળવી રાખવા અંગેનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 ની પેટા કલમ(1) હેઠળ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગર દ્વારા ફરમાવવામાં આવે છે કે, ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર્ડ થયેલા તમામ ક્લીનીક પર CCTV કેમેરા લગાવવા અને તેનો ડેટા 3 માસ સુધી જાળવી રાખવાનો રહેશે. આ જાહેરનામાંનો અમલ જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી (પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી , જિલ્લા પંચાયત ભાવનગર એ કરવાનો રહેશે. આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-60 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાનાં ભંગ બદલ ધારાસર ફરિયાદ કરવા માટે જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી (પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી , જિલ્લા પંચાયત ભાવનગર ને અધિકાર રહેશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 9:42 pm

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ABVPનો હલ્લાબોલ:જામનગરની દોશી કોલેજમાં ઇન્ટર્નલમાં લેવાયેલું BCA સેમ-5નું પેપર જ મુખ્ય પરીક્ષામાં નિકળ્યુ!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. BCA સેમેસ્ટર 5માં આજે 50 માર્કનું પ્રોગ્રામિંગ ઇન પાયથન નામનું પેપર હતુ. જેમાં યુનિવર્સિટી સંલગ્ન જામનગરની એચ. જે. દોશી કોલેજના અધ્યાપક દ્વારા જે પેપર કાઢવામાં આવ્યું હતું. જોકે તેમના દ્વારા પોતાની કોલેજમાં જે ઇન્ટર્નલ પરીક્ષામાં પેપર કાઢવામાં આવ્યું હતું તે જ પેપર સેટ કરી અને યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષા માટે આપી દેતા તેની કોલેજના વિદ્યાર્થીઓને ફાયદો થયો હતો. આ પ્રકારના આક્ષેપ સાથે ABVPએ યુનિવર્સિટીમાં કુલસચિવ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. જેમાં રામધૂન પણ બોલાવવામાં આવી હતી. જેથી યુનિવર્સિટી તંત્ર દ્વારા જવાબદારો સામે કડક પગલાં લેવા માટેની બાયંધરી આપવામાં આવી હતી. પ્રોગ્રામિંગ ઇન પાયથન વિષયના પેપરમાં છબરડાABVPના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યક્ષ ધરમ સોઢીયાની આગેવાનીમાં થયેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, આજના બીસીએસ સેમેસ્ટર-5ના પ્રોગ્રામિંગ ઇન પાયથન વિષયના પેપરમાં છબરડા સામે આવ્યા હતા. જામનગરની એચ.જે.દોશી કોલેજની ઇન્ટર્નલ પરીક્ષામાં લેવાયેલું પેપર આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષામાં લેવામાં આવ્યું હતું. બંને પેપર એક સરખા હતા. જેથી પેપર સેટ કરનાર અધ્યાપકની મિલીભગત હોવાનું સામે આવ્યું હતુ. જેથી જે લોકો આ પરીક્ષાની પ્રક્રિયામાં સંડોવાયેલા છે તેમની સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગણી છે. કુલપતિએ જવાબદારો સામે કડક પગલાં ભરવા બાંયધરી આપીઅખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓના આ પ્રશ્નને લઈને યુનિવર્સિટી કેમ્પસ ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે તે સમયે કુલપતિ હાજર ન હોવાથી ઇન્ચાર્જ રજીસ્ટ્રાર મનીષ ધામેચાને રજૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રશ્ન પરીક્ષા વિભાગનો હોવાથી ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહ અને OSD નિલેશ સોનીને જાણ કરવામાં આવી હતી. જે બાદ કુલપતિ દ્વારા જવાબદારો સામે કડક પગલાં ભરવા બાંયધરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 9:39 pm

MLA સંગીતા પાટીલની BLO સાથે બેઠક પર કલેક્ટરને ફરિયાદ:કોંગ્રેસ દ્વારા રાજકીય બેનર હેઠળ બેઠક અને લઘુમતી BLOને બાકાત રાખવાનો આક્ષેપ

સુરતના લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ વિરુદ્ધ ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન કરીને બૂથ લેવલ ઓફિસર્સ સાથે વિવાદાસ્પદ બેઠક યોજવા બદલ કલેક્ટર સમક્ષ સત્તાવાર ફરિયાદ કરવામાં આવી છે. પૂર્વ નગરસેવક અસલમ સાયકલવાલાએ આ બેઠક પર તાત્કાલિક નિષ્પક્ષ અને તટસ્થ તપાસની માંગણી કરી છે, જેમાં BLOની નિયમિત કામગીરી અટકાવવાનો અને એક ચોક્કસ ધર્મ-જાતિના BLOsને બાકાત રાખવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. નિયમો વિરુદ્ધ બેઠક અને ગંભીર આક્ષેપોફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ વિવાદાસ્પદ બેઠક 13મી તારીખે સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી, એટલે કે કુલ 3 કલાક સુધી, પરવત પાટિયા આઈ માતા સર્કલ સ્થિત મહેશ્વરી લક્ઝરીયા હોલ ખાતે યોજવામાં આવી હતી. આ બેઠક અંગેના મુખ્ય આક્ષેપો ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘનફરિયાદી અસલમ સાયકલવાલાએ રજૂઆત કરી છે કે, જ્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા ચાલુ હોય, ત્યારે કોઈપણ રાજકીય પક્ષના પ્રતિનિધિ કે ધારાસભ્ય દ્વારા BLOsની કામગીરી અટકાવીને આ પ્રકારે બેઠક યોજવી એ સીધું નિયમોનું ઉલ્લંઘન છે. BLO એ ચૂંટણી પંચના મહત્ત્વના અંગ છે અને તેઓની કામગીરી નિષ્પક્ષ અને તટસ્થ હોવી જરૂરી છે. ચૂંટણી પંચના નિયમોથી વિપરીત જઈને કાર્ય કરેકોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલા દ્વારા આક્ષેપ કરાયો છે કે, ધારાસભ્ય દ્વારા આ મીટિંગમાં ઉપસ્થિત BLOs પર ચોક્કસપણે રાજકીય દબાણ કરવામાં આવ્યું હોવાની શક્યતા છે, જેથી તેઓ ચૂંટણી પંચના નિયમોથી વિપરીત જઈને કાર્ય કરે. આ પ્રકારે બેઠક કરીને ચૂંટણી પંચને ભાજી-મૂળા સમજવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 9:16 pm

પતિ હેવાન બન્યો:રાજકોટની પરિણીતા પોતાના પતિને કઢંગી હાલતમાં જોઇ જતા પતિએ પત્નીને મારમારી ઘરમાંથી કાઢી મૂકી

રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ પાસે જલારામ પ્લોટમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ વેરાવળમાં રહેતા પતિ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતા પોતાના પતિને કઢંગી હાલતમાં જોઇ જતા તેણે મારમારી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હોવાનો આક્ષેપ પરિણીતાએ પોલીસ ફરિયાદમાં કર્યો છે જેને લઈ મહિલા પોલીસે પતિ પ્રફુલ પ્રભુદાસ રૂપારેલ વિરૂધ્ધ માનસીક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વર્ષ 2003માં લગ્ન થયા હતા જેના બીજા દિવસથી પતિ ત્રાસ આપતો પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન ફેબ્રુઆરી 2003માં પ્રફુલ પ્રભુદાસભાઈ રૂપારેલ સાથે થયા હતા અને લગ્નના બીજા દિવસથી જ પતિ ઝઘડો કરવા લાગ્યો હતો. લગ્ન જીવન દરમિયાન સંતાનમાં દીકરાના જન્મ બાદ પતિ સાથે પરિણીતા સંયુક્ત પરિવારમાંથી છૂટા થઇ અલગ રહેવા જતા રહ્યા આ પછી પણ પતિ શારીરિક માનસિક ત્રાસ આપતો હતો અને નાની નાની વાતમાં ઝઘડો કરી પતિ પરિણીતાને માર મારી ઘરમાંથી કાઢી મૂકતા અનેકવાર પરિણીતા માવતરના ઘરે જતી રહેતી બાદમાં સમાધાન કરી ફરી સાસરે જતી રહેતી હતી. પતિ કઢંગી હાલતમાં જોવા મળ્યો આજથી ત્રણ વર્ષ પહેલા પતિએ ઝઘડો કરી ઘરના ફર્નિચરને પણ નુકશાન પહોંચાડ્યું હતું. પતિ નાની નાની બાબતોમાં ઝઘડો કરી દીકરા સાથે પરિણીતાને ઘરમાંથી બહાર કાઢી મૂકતા પરિણીતા માવતરના ઘરે જતી રહેતી હતી જ્યાં ગત ફેબ્રુઆરીમાં પાડોશીના લગ્નમાં જાણવાં મળ્યું કે પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ છે જે બાબતે ગત તા.02.06.2025ના રોજ પરિણીતા સમાજના અગ્રણીઓ સાથે વાતચીત કરવા ગયા ત્યારે પતિએ વાત કરવાની ના પાડતા સમાધાનના ઇરાદે ત્યાં જ રોકાઈ ગયા હતા અને બાદમાં તા.06.06.2025ના રોજ ફરી સમાધાન માટે વાત કરવા ઘરે જતા પતિને કઢંગી હાલતમાં જોતા આ અંગે પૂછતા પતિએ પરિણીતાને ગાળો ભાંડી મારકૂટ કરી ઘરમાંથી કાઢી મૂકતા પતિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ મહિલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 9:09 pm

કર્મચારીએ માલિકને ધમકી આપી:ભાવનગરની અગ્રણી કંપની ​'આવડ કૃપા પ્લાસ્ટોમેક'ના માલિકને કર્મચારીએ જાનથી મારી નાખવાની ધમકી આપી

પેનડ્રાઈવ છીનવાઈ જતાં કર્મચારી ઉશ્કેરાયો, માલિકોને કહ્યું: તમને જાનથી મારી નો નાખુ તો કહેજો ​14 વર્ષ કામ કરનાર કર્મચારીએ જ કંપની ની ગુપ્ત માહિતીની ચોરીનો પ્રયાસ નિષ્ફળ જતાં ગાળાગાળી અને ધમકી આપી રાજકોટ-ભાવનગર હાઈવે પર આવેલી 'આવડ કૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી.' કંપનીના ડાયરેક્ટરએ તેમના પૂર્વ અને હાલના કર્મચારી સરદાર જીલુભા ખેર વિરુદ્ધ કંપનીની ગુપ્ત ડીઝાઈન ચોરવાનો પ્રયાસ કરવા બદલ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ​ફરિયાદી વલ્લભભાઈના જણાવ્યું હતું કે, તેમની કંપની પ્લાસ્ટિક મશીનરી બનાવવાનું કામ કરે છે અને સરદાર જીલુભા ખેર તેમની કંપનીમાં કોમ્પ્યુટર ડીઝાઈન ઓપરેટર તરીકે કામ કરતા હતા. જેઓ અગાઉ 14 વર્ષ સુધી કામ કર્યા બાદ રાજીનામું આપી અન્ય કંપનીમાં ગયા હતા, પરંતુ લગભગ ચાર માસ પહેલા ફરી નોકરી પર રાખવામાં આવ્યા હતા. ગઈ તા. 31/3/2025ના રોજ બપોરે આશરે 1 વાગ્યાના સમયે વલ્લભભાઈના નાનાભાઈ હસમુખ મેઘજીભાઈ વિરડીયાએ સરદારને તેમની ઓફિસમાં કંપનીની ગુપ્ત ડીઝાઈન ડેટા ધરાવતા સી.પી.યુ સાથે જોડાયેલા પ્રિન્ટરના કોડ દ્વારા પેનડ્રાઈવ લગાવીને કંઈક 'ગોલમાલ' કરતા જોયા હતા. શંકા જતાં હસમુખએ કંપનીના કેમેરા ચેક કર્યા અને બાદમાં સરદારભાઈની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન સરદારએ કંપનીની ડીઝાઈન પેનડ્રાઈવમાં લીધાનું સ્વીકાર્યું હતું. જ્યારે વલ્લભભાઈ અને તેમના ભાઈએ પેનડ્રાઈવ માગી, ત્યારે સરદારએ તે આપવાનો ઈન્કાર કર્યો અને ઉશ્કેરાઈ જઈને કહ્યું કે, આ પેનડ્રાઈવ નથી આપવી એને તમારે જે કરવું હોય તે કરી લ્યો, તમે બે ભાઈઓ મારુ શું બગાડી લેશો. આ બાદ હસમુખએ તેમના હાથમાંથી પેનડ્રાઈવ લઈ લીધી હતી. ​પેનડ્રાઈવ છીનવાઈ જતાં સરદારભાઈએ વલ્લભભાઈ અને હસમુખને ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા કહ્યું કે, હવે તમે કેમ કંપની બહાર નીકળો છો, તમને જાનથી મારી નો નાખુ તો કહેજો. ​આ ઘટના બાદ વલ્લભભાઈએ વરતેજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જોકે, સરદારએ માફી માગતા તે સમયે ફરિયાદ કરવામાં આવી ન હતી. પરંતુ, જાનથી મારી નાખવાની ધમકીને કારણે ડર લાગતા, વલ્લભભાઈએ આજે અરજીના અનુસંધાનમાં સરદાર જીલુભા ખેર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 9:05 pm

પોલીસ સ્ટેશનની હદને લઈને પરિવારે તકલીફ વેઠવી પડી:રત્નકલાકારનું તબિયત લથડતા બાદ મોત, વરાછા પોલીસે 6 કલાક બાદ માનવતા દાખવતા પોસ્ટમોર્ટમ કરાયું

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા એક રત્નકલાકારની તબિયત લથડતા બાદ મોત નીપજ્યું હતું. રત્ન કલાકારના મોત ના પગલે વરાછા અને લિંબાયત પોલીસ મથકના કર્મીઓ વચ્ચે હદનો વિવાદ સર્જાયો હતો. જોકે 6 કલાક બાદ વરાછા પોલીસે માનવતા દાખવતા પોસ્ટમોર્ટમ કરાયું હતું. જોકે આ તમામની વચ્ચે મૃતકના પરિવારજનોને તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો. રત્નકલાકારની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા હતામળતી માહિતી પ્રમાણે, મુળ ભાવનગર અને વરાછા રોડ ખાતે આવેલી હરિધામ સોસાયટીમાં 33 વર્ષીય ધનશ્યામ કરસનભાઈ વાળા પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં બે સંતાન છે. ઘનશ્યામભાઈ રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. બપોરે ઘનશ્યામભાઈની તબિયત લસડતા લિંબાયતની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તબિયત વધુ લથડતા પુણાગામ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોએ ઘનશ્યામભાઈને મૃત જાહેર કરાયા હતાબે ખાનગી હોસ્પિટલ બાદ ઘનશ્યામભાઈને વધુ સારવાર માટે પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા ઘનશ્યામભાઈને મૃત જાહેર કરાયા હતા. ઘનશ્યામભાઈનું મોત નીપજતા સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ લીગલ કેસ હોવાથી પોલીસ ચોકીના પોલીસ જવાન દ્વારા ઘનશ્યામભાઈ ની તબિયત લિંબાયતની હોસ્પિટલમાં પહેલા સારવાર થયો હોવાથી મોત અંગેની જાણ લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે કોલ કરીને કરી હતી. પોલીસે 6 કલાક બાદ માનવતા દાખવતા PM કરાયુંલિંબાયત પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મૃતકનું રહેવાનું વરાછામાં હોવાથી વરાછા પોલીસ સ્ટેશનની હદ લાગશે. આ બંને પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા હદને લઈને વિવાદ સર્જાયો હતો અને કલાકો સુધી વર્દી લેવામાં ન આવી હતી. આખરે છ કલાક બાદ વરાછા પોલીસ દ્વારા માનવતા દાખવીને વર્દી લખ્યા બાદ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની હદની માથાકૂટને લઈને પરિવારે હેરાનકલાકોની હેરાનગતિ બાદ પરિવારને પોતાના સ્વજનનો મૃતદેહ મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પરિવાર પોતાના સ્વજનના મોતના પગલે ચોકમાં હતો. જોકે, પોલીસની હદની માથાકૂટને લઈને પરિવારે હેરાન થવાનો વારો આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 9:02 pm

પારડીમાં દમણથી સુરત લઈ જવાતો દારૂ ઝડપાયો:11.76 લાખના વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ

પારડી પોલીસે દમણથી સુરત તરફ લઈ જવાઈ રહેલા રૂ. 11.76 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. વલસાડ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી રોકવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા અને DySP એ.કે. વર્માના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. PI જી.આર. ગઢવીના નેતૃત્વમાં પારડી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ઓરવાડ બ્રિજ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર એક બંધ બોડીના આઇસર ટેમ્પોને રોક્યો હતો. તપાસ કરતાં તેમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પો ચલાવનાર મહમદ સમીર મહમદ નઝીમ શેખ (ઉંમર 32, રહે. નાલાસોપારા, પાલઘર, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી. ટેમ્પોમાંથી કુલ 160 બોક્સમાં 7,680 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 11,76,000 છે. દારૂ, ટેમ્પો અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 19,81,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ દારૂ ભરાવનાર બાપુ પટેલ અને ટેમ્પો પૂરો પાડનાર અજાણ્યો વ્યક્તિ હાલ વોન્ટેડ છે. પારડી પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 115(2), 351, 352 તથા પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 8:53 pm

બોટાદના રાણપુરમાં અનુસૂચિત સગીરની હત્યાનો કેસ:કેબિનેટ મંત્રીની મુલાકાત બાદ અનુસૂચિત સમાજનો મૃતદેહ સ્વીકારવાનો નિર્ણય

રાણપુરના જાળીલા ગામના સગીરની હત્યાના મામલે રાજ્યના કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાએ બોટાદની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત અને અનુસૂચિત સમાજના આગેવાનો સાથેની બેઠક બાદ સમાજે સગીરનો મૃતદેહ સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. મંત્રી પ્રદ્યુમન વાજા સૌપ્રથમ જાળીલા ગામે પહોંચ્યા હતા. ત્યાં તેમણે મૃતકના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. ત્યારબાદ મંત્રીએ બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલ ખાતે ઉપસ્થિત અનુસૂચિત સમાજના આગેવાનો સાથે તેમણે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન, અનુસૂચિત સમાજના આગેવાનોએ ઘટના અંગે મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી અને વિવિધ માંગણીઓ મૂકી હતી. મંત્રીએ સમાજની માંગણીઓ સ્વીકારીને આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. મંત્રીની ખાતરી બાદ હાલ આ મામલો થાળે પડ્યો છે. અનુસૂચિત સમાજ દ્વારા સગીરના મૃતદેહને સ્વીકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 8:51 pm

રાજકોટ સમાચાર:19 નવેમ્બરે મહાપાલિકાના સ્થાપના દિને સચેત અને પરંપરાની મ્યુઝીકલ નાઇટ

રાજકોટ મહાપાલિકાની સ્થાપનાની 52મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આગામી તા.19ના રોજ રાત્રે 8 કલાકે ભવ્ય બોલિવુડ મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ કવિ શ્રી રમેશ પારેખ રંગ દર્શન, ઓપન એર થીએટર, રેસકોર્ષ ખાતે યોજાશે, જેમાં સુપ્રસિદ્ધ બોલિવુડ સિંગર સચેત અને પરંપરા પોતાની પ્રસ્તુતિ આપશે. રાજ્યના કેબિનેટ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને પ્રતિષ્ઠિત 'મેયર એવોર્ડ' એનાયત કરીને સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત, સ્વચ્છ-હરિયાળું અને રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવમાં આયોજિત રંગોળી સ્પર્ધાના વિજેતાઓને પણ ઇનામ વિતરણ કરવામાં આવશે. કોર્પોરેશનની વર્ષગાંઠ પર યુવા વર્ગમાં લોકપ્રિય કલાકારો સચેત અને પરંપરાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી ધારણા છે. આ ગાયક બેલડીએ રામ સીયારામ, હર હર મહાદેવ, દિવાની, ચુરા લીયા હૈ સહિતના લોકપ્રિય ગીતો ગાયા છે. આ કાર્યક્રમમાં સાંસદ પરસોતમ રૂપાલા, રામભાઇ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા, ભાજપ પ્રમુખ ડો.માધવ દવે તેમજ મનપાનાં પદાધિકારીઓ, ધારાસભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહેશે. લોકોને પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે જણાવાયું છે. કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ભાવનગર જિલ્લાની મુલાકાતે પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા આજથી 16 નવેમ્બરના રોજ રાજકોટ, પોરબંદર, જુનાગઢ અને ભાવનગર જિલ્લાના પ્રવાસે છે. પ્રવાસની શરૂઆત આજે સાંજે 7-30 કલાકે રાજકોટ ખાતે અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમમાં જલ-જવેલ સ્નેહમિલન કાર્યક્રમથી થશે. આવતીકાલે, શુક્રવારના રોજ, તેઓ સવારે 9-00 કલાકે પંચનાથ હોસ્પિટલ, રાજકોટ ખાતે અતિ આધુનિક સાધનોનું લોકાર્પણ કરશે અને ત્યાર બાદ સવારે 10-15 કલાકે રેલવે સ્ટેશન રાજકોટ ખાતેથી રાજકોટ - પોરબંદર લોકલ ટ્રેનનું લોકાર્પણ કરીને ટ્રેન દ્વારા પોરબંદર જવા રવાના થશે. બપોરે 4-30 કલાકે કેશોદ તાલુકાના લીંબુડા ગામે ત્રાંબડિયા પટેલ સમાજ ખાતે અને સાંજે 6-30 કલાકે મેંદરડા ખાતે સ્નેહમિલન કાર્યક્રમોમાં હાજરી આપશે. 15 નવેમ્બરના રોજ, સવારે 9-30 કલાકે જુનાગઢ કલેક્ટર ઓફિસ અને બપોરે 2 કલાકે પોરબંદર સર્કિટ હાઉસ ખાતે દિશા કમિટીની બેઠકમાં હાજરી આપશે અને ત્યાર બાદ સાંજે 4-00 કલાકે કનકાઈ માતાજી મંદિર, પોરબંદરથી સરદાર150 યુનિટી પદયાત્રામાં જોડાશે. 16 નવેમ્બર રવિવારના સવારે 11 કલાકે ભાવનગર મોતીબાગ ટાઉન હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીની મીટીંગમાં તેઓ હાજરી આપશે. આમ્રપાલી અંડરબ્રીજમાં ગંદકીના ગંજ, વાહન ચાલકોને અકસ્માતનો ભય રાજકોટની મધ્યમાં આવેલા આમ્રપાલી ફાટક હેઠળના અંડરબ્રીજથી આ રોડની ટ્રાફિક સમસ્યા ઘણે અંશે હળવી થઇ છે. જોકે કિશાનપરા ચોકની ટ્રાફિક સમસ્યા વધી ગઇ છે. આ દરમ્યાન છેલ્લા માવઠા બાદ બ્રીજ અંદરથી પસાર થતા વાહન ચાલકોને વહેતા પાણી અને ગંદકીનો ભયંકર સામનો કરવો પડી રહ્યો છે. બ્રીજની બંને તરફના ભાગે દિવાલો અને ભૂગર્ભમાંથી પાણી વહે છે. પૂરો દિવસ ટ્રાફિક સહિતના કારણોથી અહીં ધુમાડા અને કચરા પણ ઉડતા હોય છે. જે કારણે બ્રીજની દિવાલોના ખુણે એટલી ગંદકી અને ચીકાસ જામી ગયા છે કે સ્કુટર ચાલકોએ તો દિવાલથી સામેના ભાગે ધ્યાન રાખીને ચાલવું પડે છે. અન્યથા હવે વાહનો સ્લીપ થઇ જવાનો ભય રહ્યો છે. આ જગ્યાએ સફાઇ થતી હોય તેવું પણ લાગતું નથી. થોડા સમય અગાઉ બ્રીજની દિવાલો પાન-માવાની પીચકારીથી ભરાઇ જવાની સમસ્યા પાણીના મારાથી સાફ કરવામાં આવશે તેવી જાહેરાત કરાઇ હતી. આ કામ પણ થયું નથી. હવે આ બ્રીજની શોભા તો ગંદકી બગાડી જ રહી છે. સાથે જ વાહન સ્લીપ થવાનો ખતરો પણ વધ્યો છે. ત્યારે મનપા તંત્ર દ્વારા તાત્કાલિક સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ગુજરાત કોંગ્રેસના જૂની પેઢીના વરિષ્ઠ નેતા પૃથ્વીસિંહ જાડેજા ‘બાવા’નું નિધન ગુજરાત કોંગ્રેસના વિતેલા સમયના દિગ્ગજ નેતા પૃથ્વીસિંહ નટવરસિંહ જાડેજાનું મોડી રાતે નિધન થયું છે. તેમની ઉંમર 76 વર્ષની હતી. આજે સવારે તેમના નિવાસસ્થાન વિવેકાનંદ રોડ, મ્યુનિસિપલ કમિશ્ર્નરના બંગલાની પાસે, રાજકોટ ખાતેથી પૃથ્વીસિંહ જાડેજાની અંતિમયાત્રા નીકળી હતી ત્યારે કોંગ્રેસ તથા સમાજના અગ્રણીઓ, મિત્રો વગેરે જોડાયા હતા. રાજકોટમાં 1975માં મ્યુનિસિપલ કોર્પો.ની ચુંટણી યોજાઈ હતી ત્યારે જૂના વોર્ડ નં.14માં અરવિંદભાઈ પેનલમાં ઉભા રહ્યા હતા. અરવિંદભાઈ મણિયાર, ઉષાકાંત માંકડ તથા પૃથ્વીસિંહ જાડેજાની પેનલ હતી. વર્ષ 1975માં કટોકટી બાદ પૃથ્વીસિંહ જાડેજાએ પક્ષાંતર કર્યું અને કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ લાંબો સમય સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી તરીકે રહ્યા હતા. તેમણે સ્વ. અહમદ પટેલ, સ્વ. ચીમન પટેલ, સ્વ.માધવસિંહ સોલંકી, સ્વ. અમરસિંહ ચૌધરીના નજીકના સાથીદાર તરીકે કામ કયુર્ં હતું. તેઓ એસટી બોર્ડના પૂર્વ સભ્ય રહી ચૂકયા હતા. તેઓ રણજીતસિંહ જાડેજાના ભાઈ, અર્જુનસિંહના કાકા થતા હતા. 1996 પછી તેમણે રાજકીય સંન્યાસ લઈ લીધો હતો. પરંતુ સમાજ સેવાના કાર્યો કરતા હતા તેઓ ‘બાવા’ તરીકે ઓળખાતા હતા.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 8:49 pm

દિલ્હી આતંકી હુમલા બાદ વડોદરા પોલીસ એલર્ટ:ONGCની સિક્યુરિટી માટે કેમ્પસમાં બેઠક, બોમ્બ સ્ક્વોડની મદદથી ચેકિંગ કરાયું

દિલ્હીમાં થયેલા આતંકી હુમલા બાદ વડોદરા શહેર પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને શહેરના સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા અંગેની બેઠકો અને સિક્યુરિટી ઓડિટ કરવામાં આવી રહ્યું છે. આજે વડોદરા શહેરમાં આવેલ ONGC કેમ્પસમાં વડોદરા શહેર પોલીસ કમિશનર અને તેમની ટીમે ONGCના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને ONGCની સુરક્ષા બાબતે ચર્ચા કરી હતી અને બોમ્બ સ્ક્વોડની મદદથી ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરે ONGC કેમ્પસની મુલાકાત લીધીવડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, ONGCની સિક્યુરિટી માટે આજે ONGC કેમ્પસની મુલાકાત લીધી છે. અહીં આવતા કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ પરના લેબર સહિતના લોકો પ્રવેશ કરે તેનું ચેકિંગ કેવી રીતે કરવાનું તેની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત સાયબર ક્રાઇમ અંગે પણ સુચના આપવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ, PCB, SOG, બોમ્બ સ્ક્વોડ અને ક્વિક રિસ્પોન્સ ટીમ જોડાઈતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજે વડોદરા શહેર પોલીસની ટીમ અને એમના સુરક્ષા અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને આખા કેમ્પસમાં ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રકારની કાર્યવાહી વખતોવખત કરવામાં આવશે. લોકલ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ, PCB, SOG, બોમ્બ સ્ક્વોડ અને ક્વિક રિસ્પોન્સ ટીમ પણ જોડાઈ છે. શહેરના સંવેદનશીલ સ્થળે પોલીસની એક્સરસાઇઝતેઓએ ઉમેર્યું હતું કે, આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને કાઉન્ટર કરવા માટે અને આવા સમયે સિસ્ટમને કેવી રીતે બચાવી શકાય તે માટે તમામ તૈયારીઓ શહેર પોલીસ કરી છે. વડોદરા શહેરના સંવેદનશીલ સ્થળે અમે આ એક્સરસાઇઝ કરી રહ્યા છીએ, એના ભાગરૂપે આજે ONGCમાં પણ આજે એક્સરસાઇઝ કરી છે. જેમાં આજે વડોદરા શહેર પોલીસના કોન્સ્ટેબલથી લઈને એડિશનલ પોલીસ કમિશનર સુધીના અધિકારીઓ જોડાયા છે. અને ONGCમાં સિક્યુરિટી ઓડિટ કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 8:48 pm

નવાબંદરની મદીના મસ્જિદમાં ત્રણ શંકાસ્પદ કાશ્મીરી યુવકો મળવાનો મામલો:મસ્જિદના સંચાલક વિરુદ્ધ નવાબંદર મરિન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ પોલીસ ફરિયાદ

દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ રાજ્ય સરકારે ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કર્યો છે, જેના પગલે ગીર સોમનાથ જિલ્લા પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે. જિલ્લાના પોલીસ વડા એસ.પી. જયદીપસિંહ જાડેજાના આદેશથી મદ્રેસાઓ, મસ્જિદો અને સંવેદનશીલ સ્થળોએ સઘન ચકાસણી શરૂ કરવામાં આવી છે. આ તપાસ અભિયાન દરમિયાન જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉના તાલુકાના નવાબંદરની મદીના મસ્જિદમાં ત્રણ શંકાસ્પદ કાશ્મીરી યુવકોન મળી આવ્યા છે. આ ઘટના બાદ મસ્જિદના સંચાલક વિરુદ્ધ નવાબંદર મરિન પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મદીના મસ્જિદમાંથી ત્રણ શંકાસ્પદ કાશ્મીરી યુવકોની અટકાયત ગીર સોમનાથના ઉના તાલુકાના નવાબંદર ગામમાં આવેલી મદીના મસ્જિદમાંથી ત્રણ શંકાસ્પદ કાશ્મીરી યુવકોની અટકાયત કરવામાં આવી છે. બહારના લોકો મસ્જિદમાં રોકાયા હોવાની પોલીસને જાણ થતાં જ મરીન પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં યુવકોએ પોતે કાશ્મીરથી દીવ અને ઉના વિસ્તારમાં ફાળો લેવા માટે આવ્યા હોવાની માહિતી આપી છે. ઝડપાયેલા ત્રણેય યુવકો જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લાના રહેવાસી છે. ત્રણ કાશ્મીરી યુવકોની વિગત પાકિસ્તાન કે બાંગ્લાદેશ કનેક્શન અંગે તપાસપોલીસે ત્રણેય યુવકોની બેંક ડિટેઇલ, પરિવારના સભ્યો, કોન્ટૅક્ટ્સ અને તેમના પ્રવાસ સંબંધિત તમામ વિગતોની સઘન ચકાસણી શરૂ કરી છે. ખાસ કરીને, તેમના પરિવારના કોઈ સભ્યો પાકિસ્તાન કે બાંગ્લાદેશ સાથે જોડાયેલા છે કે કેમ, તેની પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. જોકે, પ્રાથમિક તબક્કે મસ્જિદમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી તેવો અંદાજ છે. મસ્જિદ સંચાલક સામે જાહેરનામાના ભંગની ફરિયાદઆ મામલે, મદીના મસ્જિદના સંચાલક વિરુદ્ધ નવાબંદર મરિન પોલીસ સ્ટેશનમાં જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. કારણ કે, સંચાલકે ત્રણેય યુવકોને મસ્જિદમાં આશ્રય આપવા અંગે પોલીસને જાણ કરી ન હતી. જિલ્લામાં હાઈ એલર્ટને ધ્યાનમાં રાખીને SOGની ટીમો દ્વારા જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી રહી છે, અને તાલુકાભરની મસ્જિદોમાં પોલીસની તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 8:45 pm

વાજબી ભાવના દુકાનદારોની અરજી પરત ખેંચી:રાશનકાર્ડને આધાર સાથે લિંક કરવાની રાજ્ય સરકારની ફરજિયાત શરતને પડકારતી અરજી દાખલ કરાઈ હતી

ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાત ફેર પ્રાઇસ શોપ ઓનર્સ એસોસિએશન દ્વારા ચેરમેન પ્રહલાદ મોદી મારફતે રાશન કાર્ડને આધારમાં લિંક કરવાની રાજ્ય સરકારની ફરજિયાત શરતને પડકારતી અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે જણાવ્યું હતું કે, આ બાબતે કોઈ રાહત આપવામાં આવશે નહીં, ત્યારબાદ એસોસિએશને અરજી પાછી ખેંચી લીધી. અરજીમાં શરતને પડકારનાર કોઈ લાભાર્થી નહોતોએસોસિએશને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ, 2013 હેઠળ લાભાર્થીઓ માટે આધારમાં ઑથેન્ટિકેશન ફરજિયાત કરવાની રાજ્ય સરકારની કાર્યવાહી પર પ્રશ્નો ઊભા કર્યા હતા. જે સબસિડાઇઝ્ડ અનાજના માટે રાષ્ટ્રીય સ્તરની વ્યવસ્થા છે. જોકે, આ અરજીમાં શરતને પડકારનાર કોઈ લાભાર્થી નહોતો, પરંતુ જાહેર વિતરણવ્યવસ્થાના મધ્યવર્તી ફેર પ્રાઇસ દુકાનધારકો તરફથી કરવામાં આવેલ અરજી હતી. જ્યારે સમગ્ર ગુજરાતમાં આધાર-લિંકિંગની પ્રક્રિયા વ્યાપક રીતે ચાલી રહી છે. રાજ્ય સરકાર જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવી રહી છેઆ કાર્યવાહી દરમિયાન રાજ્ય સરકાર તરફથી સરકારી વકીલે અરજીનો વિરોધ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, એકપણ રાશનકાર્ડ ધારકે આધાર લિંકિંગને લઈને કોઈ વાંધો વ્યક્ત કર્યો નથી. આધાર ઑથેન્ટિકેશન નકલી રેશન કાર્ડ, ભૂતિયા લાભાર્થી અને સબ્સિડાઇઝ્ડ અનાજના અનધિકૃત વેચાણને રોકવા માટે સાધન છે અને રાજ્ય સરકાર જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવી રહી છે. કોર્ટ કોઈ રાહત આપવા તૈયાર નથી એવું જણાવતા જ એસોસિએશને અરજી પાછી ખેંચીકોર્ટે જણાવ્યું હતુ કે, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ પરથી ઊભેલી નીતિમાં કોર્ટ દખલ કરવાનું કોઈ કારણ દેખાતું નથી, ખાસ કરીને ત્યારે જ્યારે જેને લઇને અધિકારોનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાય છે. તે લોકો કોર્ટમાં આવ્યા જ નથી. કોર્ટ કોઈ રાહત આપવા તૈયાર નથી એવું જણાવતા જ એસોસિએશને અરજી પાછી ખેંચી હતી.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 8:38 pm

કોર્ટે હત્યા કેસમાં આરોપીને આજીવન કારાવાસની સજા કરી:આરોપી અથડાયો અને મૃતકે જોઈને ચાલવાનું કહેતા છરી લઈને તૂટી પડ્યો

વર્ષ 2023માં અમદાવાદના બાપુનગર પોલીસ મથકે કિશન ઉર્ફે રાહુલ ચડ્ડી પટણી સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં ચાલી જતા જજ સમીર.આર.સાંગાણીએ સરકારી વકીલ હિમાંશુ.આર શાહની દલીલો, સાક્ષીઓ તેમજ પુરાવા તપાસીને આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી છે. છરી કાઢીને મૃતક પર તૂટી પડ્યો હતોઆ કેસને વિગતે જોતા મૃતક વિજય ઠાકોર પોતાના બનેવીને ત્યાં આવ્યો હતો. શિયાળાની સાંજે તેઓ ચંદુલાલની ચાલીમાં થઈને જઈ રહ્યા હતા ત્યારે આરોપી કિશન પટણી વિજય ઠાકોર સાથે અથડાયો હતો. આથી, વિજય ઠાકોરે તેને જોઈને ચાલવા કહ્યું હતું. આટલી જ બાબતમાં આરોપી કિશન પટણીએ કહ્યું હતું કે, તે વિસ્તારનો દાદા છે અને છરી કાઢીને મૃતક વિજય ઠાકોર ઉપર તૂટી પડ્યો હતો. આરોપીને મૃતકે અપશબ્દો કહેતા તે ઉશ્કેરાયો હતોત્યારબાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. જ્યાં વિજય ઠાકોરનું મૃત્યુ નીપજ્યું હતું. કોર્ટે આખી ટ્રાયલમાં 13 સાહેદ અને 20 દસ્તાવેજી પુરાવા ચકાસ્યા હતા. આરોપીના વકીલે રજૂઆત કરી હતી કે, આરોપીને મૃતકે અપશબ્દો કહેતા તે ઉશ્કેરાયો હતો. સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપીએ ફક્ત વિસ્તારમાં રૌફ જમાવવા હત્યા કરી નાખી હતી ત્યારે તેને ઉદાહરણરૂપ સજા કરવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 8:34 pm

સાયખા GIDC બ્લાસ્ટ: AAPની મૃતકોના પરિવારોને સહાયની માગ:ચૈતર વસાવાએ મૃતકોના પરિવારજનોને એક કરોડ અને એક સભ્યને નોકરી મળે તેવી માગ કરી

વાગરા તાલુકાની સાયખા GIDC સ્થિત વીશાલ્ય ફાર્મા કેમ કંપનીમાં મંગળવાર રાત્રે સાડા બે વાગ્યે થયેલા ભયાનક બ્લાસ્ટમાં ત્રણ કામદારોના મોત નીપજ્યા હતા, જ્યારે 23 જેટલા અન્ય શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. આજ રોજ ભરૂચ શહેરના સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના આગેવાન ચૈતર વસાવા પાર્ટીના કાર્યકરો સાથે મુલાકાત માટે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, સાયખા GIDCમાં થયેલા આ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા ત્રણેય કામદારોના પરિવારોને રૂ.1 કરોડની આર્થિક સહાય તેમજ પરિવારમાંથી એક સભ્યને નોકરી આપવામાં આવે તેવી માગણી છે. ચૈતર વસાવાએ આક્ષેપ કરતા જણાવ્યું કે, હાલમાં દહેજ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં મોટો એક્સ્પો ચાલી રહ્યો છે છતાં પણ આ દુર્ઘટનાની ઘટનાસ્થળે એક પણ રાજકીય આગેવાન પહોંચ્યા નથી, જે દુઃખદ બાબત છે. તેમણે જણાવ્યું કે, આગામી દિવસોમાં આપ પાર્ટી તરફથી ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવશે. વડાપ્રધાનના તાજેતરના દેડિયાપાડા પ્રવાસ અંગે પણ તેમણે પ્રતિભાવ આપતા જણાવ્યું કે, વડાપ્રધાનના કાર્યક્રમથી વિસ્તારમાં અટકેલા કાર્યોને વેગ મળી રહ્યો છે અને આવા કાર્યક્રમો દર વર્ષે યોજાય તેવી ઈચ્છા છે. તેમ છતાં તેમણે ભાજપમાં જોડાવાના સમાચારને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા. ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું કે, ભીલપ્રદેશની માગણી યથાવત્ છે અને તે માગણીથી આદિવાસી વિસ્તારોમાં વહીવટી સુગમતા સર્જાશે. કાર્યક્રમ દરમિયાન ભરુચ જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ સહિત શહેર તથા તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 8:21 pm

NID અમદાવાદ અને પ્રધાનમંત્રી મ્યુઝિયમ વચ્ચે ઐતિહાસિક MoU:નિષ્ણાતો સંગ્રહાલયના પ્રદર્શનો અને બ્રાન્ડિંગને આપશે નવું સ્વરૂપ, આઝાદી પછીના PMના યોગદાનની ગાથા રજૂ કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિઝાઈન ઈન ઈન્ડિયા, ડિઝાઈન ફોર ધ વર્લ્ડના સૂત્રની પહેલ કરી છે. આ દૂરંદેશી આહ્વાનને અનુરૂપ અને પ્રધાનમંત્રીના ડિઝાઇન ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાના વિઝનને સાકાર કરવા માટે, અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID)ના ડિરેક્ટર ડૉ. અશોક મંડલના નેતૃત્વ હેઠળ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (NID) અને નવી દિલ્હી સ્થિત પ્રધાનમંત્રી મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી વચ્ચે એક એમઓયુ સાઈન કરવામાં આવ્યા છે. NIDના નિષ્ણાંત ડિઝાઈનર્સ ડિઝાઈન પર કરશે કામઆ MOU અંતર્ગત NIDના નિષ્ણાંત ડિઝાઈનર્સની ટીમ વડાપ્રધાન સંગ્રહાલય માટે વિવિધ ડિઝાઈન કરવામાં પોતાનું પ્રદાન આપશે. જેમાં તેઓ પ્રદર્શનો અને પ્રદર્શન ગેલેરીઓ, પ્રમોશનલ સામગ્રી અને કોલેટરલ, જાહેર સુવિધાઓ અને ઉપયોગિતાઓ, ટિકિટ કાઉન્ટર, સાઇનેજ સિસ્ટમ્સ અને સંગ્રહાલયને લગતાં તમામ બ્રાન્ડિંગની ડિઝાઈન પર કામ કરશે. આઝાદી પછીના પ્રધાનમંત્રીઓના યોગદાનને રજૂ કરાશેમહત્વનું છે કે, પ્રધાનમંત્રી સંગ્રહાલય એ સ્વતંત્રતા પછી ભારતના દરેક વડાપ્રધાનને સમર્પિત કરતું એક અદ્ભુત સંગ્રહાલય છે. આ સંગ્રહાલય છેલ્લા ૭૫ વર્ષમાં દેશના નિર્માણ અને લોકશાહીના મજબૂતીકરણમાં દરેક નેતાએ આપેલા યોગદાનની વાર્તા રજૂ કરે છે. આ મ્યુઝિયમ ભારતનીસામૂહિક યાત્રાનું પ્રતિબિંબ છે. આ સહયોગ દ્વારા NID અમદાવાદ પોતાની ડિઝાઈન કુશળતા વડે વડાપ્રધાન સંગહાલયના મુલાકાતીઓનો અનુભવ વધુ સમૃદ્ધ બનાવવા માટે યોગદાન આપશે, અને સાથે જ રાષ્ટ્રીય સ્તરના મહત્વના પ્રોજેક્ટ્સમાં ભારતની ડિઝાઈન ક્ષમતાને વધુ મજબૂત કરશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 8:19 pm

PCBની કડક કાર્યવાહી:કાલાવાડ રોડ ઓવરબ્રિજ નીચેથી કારમાં દારૂ વેચવા નીકળેલો શખસ ઝડપાયો, આર્થિક ભીંસ દૂર કરવા દારૂનો ધંધો ચાલુ કર્યાની કબૂલાત

રાજકોટ શહેર PCB ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે કાલાવાડ રોડ ઓવરબ્રિજ નીચે આવેલ પે એન્ડ પાર્કીંગમાંથી ટોયોટા કારની પાછળની સીટમાં બનાવેલ ચોર ખાનામાંથી ઇંગ્લીશ દારૂની હેરફેર કરતા પરેશ ભરત જોગી (ઉ.વ.38) ને પકડી પાડી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 88 બોટલ કબ્જે કરી કુલ રૂ.2.84 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલ શખ્સ મધ્યપ્રદેશથી દારૂ લઈ આવ્યો હતો અને અહીં તે છૂટકમાં વેચાણ કરવા માટે ઊભો હતો. આરોપી અગાઉ તે કાર રેન્ટ પર આપવાનો ધંધો કરતો હતો, જેમાં તેને નુકસાની આવતા આર્થિક ભીંસ દૂર કરવા માટે દારૂનો ધંધો ચાલુ કર્યા હોવાની પોલીસ સમક્ષ કબુલાત આપી હતી. બંગાળીની દુકાનમાંથી આઠ બાળમજુરોને મુકત કરાવાયાહ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમ દ્વારા બાળમજૂરી અટકાવવાની કામગીરીના ભાગરૂપે શહેરના ખોજા જમાત ખાના પાસે આવેલા સુવર્ણ કોમ્પલેક્ષમાં જનતા રોલ પ્રેસ દુકાન નંબર 18માં તપાસ કરતા અહીં આઠ બાળમજૂરો મળી આવ્યા હતા જેથી તેમને મુક્ત કરાવી ચિલ્ડ્રન હોમ્સ ફોર બોયઝમાં મોકલી દેવામાં આવ્યા હતા. જ્યારે દુકાન સંચાલક એસ.કે.બદરૂદ્દીન વિરુદ્ધ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. દુકાન સંચાલક બંગાળી શખ્સ એસ.કે.બદરૂદ્દીન બંગાળથી આ બાળકોને મજૂરીકામ માટે લાવ્યો હતો. આઠ બાળકો પૈકી બે બાળકો 14 વર્ષથી નાની ઉંમરના જ્યારે અન્ય છ બાળકો 18 વર્ષથી નાની ઉંમરના હોવાનું સામે આવ્યું છે. આ તમામ બાળકો બે મહિનાથી લઈ બે વર્ષના સમયગાળાથી અહીં કામ કરતા હતા. તેમની પાસે સવારે 9 વાગ્યાથી સાંજના 6 સુધી મજૂરીકામ કરાવવામાં આવતું હતું જેની સામે તેમને રૂ.5 હજારથી લઇ રૂ.14 હજાર સુધીનું માસિક વેતન ચૂકવવામાં આવતું હતું. આ અંગે વધુ તપાસ એ ડિવિઝન પોલીસે હાથ ધરી છે. મોટા હડમતીયાનો શખ્સ લગ્નની લાલચે સગીરાને ભગાડી ગયોનવાગામમાં રહેતા ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિંછીયાના મોટા હડમતીયાના શીવરાજ કનુ ખાચરનું નામ આપી જણાવ્યું હતું કે, ગઇ તા.9ના રાત્રિના સમયે તે અને તેનો દીકરો ઉપરના રૂમમાં અને તેની પત્ની અને તેમની દીકરી નીચેના રૂમમાં સુતા હતા. બીજા દિવસે વહેલી સવારે ચાર વાગ્યે નીચેના રૂમમાં જોતા દીકરી જોવા ન મળતા પત્નીને પૂછતા પોતાને ખબર ન હોવાનું જણાવ્યું હતું. આ પછી આસપાસના વિસ્તારમાં તપાસ કરતા દીકરીની કોઈ ભાળ મળી ન હતી. વધુમાં જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા અગાઉ વિંછીયાના મોટા હડમતીયામાં રહેતા શિવરાજ કનુભાઈ ખાચર સાથે તેમની દીકરીને અફેર હોવાનું જાણવા મળ્યું હતું. તેની દીકરીને શિવરાજ લગ્નની લાલચ આપી ઘરેથી ભગાડી ગયો હોવાની શંકા વ્યક્ત કરતા કુવાડવા પોલીસે અપહરણની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 8:10 pm

વાપીમાં ગેંગ રેપ કેસમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર:યુવતી સાથે મિત્રતા કેળવી નોકરીની લાલચ આપી બે શખ્સોએ બળજબરીપૂર્વક સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા પોલીસ મથકે નોંધાયેલા ગેંગ રેપના ગંભીર ગુનામાં સંડોવાયેલા એક આરોપીની જામીન અરજી એડીશનલ સેશન્સ જજ એચ.એન. વકીલ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. આ કેસમાં કોર્ટે આરોપીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. મામલાની વિગતો મુજબ, આરોપીઓ રાજાબાબુ ઉદમેલ કુસ્વાહા અને પ્રિન્સ ઉદમેલ કુસ્વાહા, જે બંને મૂળ ઉત્તર પ્રદેશના દેવરીયા જિલ્લાના રહેવાસી છે, તેમણે 2 જાન્યુઆરી 2025 થી 24 ઓક્ટોબર 2025 દરમિયાન ગુનો આચર્યો હતો. તેમણે વાપીમાં રહેતી ફરિયાદી સાથે મિત્રતા કેળવી હતી અને નોકરી આપવાની લાલચ આપી વિશ્વાસઘાત કર્યો હતો. ત્યારબાદ, બંને આરોપીઓએ મળીને ફરિયાદી પર બળજબરીપૂર્વક સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, તેમને એક રૂમમાં બંધ રાખી ગેરકાયદેસર રીતે અટકાયતમાં પણ રાખી હતી. આ અંગે ડુંગરા પોલીસ મથકે 26 ઓક્ટોબર 2025ના રોજ ફરિયાદ નોંધવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પ્રિન્સકુમાર ઉદયમલ કુશવાહાએ જામીન માટે અરજી કરી હતી, જેની સામે ડી.જી.પી. અનિલ ત્રિપાઠીએ મજબૂત દલીલો રજૂ કરી હતી. અંતે, અદાલતે આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવાનો આદેશ આપ્યો.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 8:01 pm

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી:15મીએ હેમુ ગઢવી હોલમાં 9.71 કરોડના વિકાસકામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ, આરોગ્ય-સેવા સેતુ કેમ્પ યોજાશે

15મી નવેમ્બરના રાજકોટ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવનાર છે, જેને લઇને શહેરના હેમુ ગઢવી હોલમાં કાર્યક્રમ યોજાશે. જેમાં 9.71 કરોડના વિકાસકામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવશે અને આદિવાસી સમૂહો તેમની પારંપરિક વેશભૂષામાં ધારણ કરીને આવશે. વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીની ઉપસ્થિતિ રહેશે. આ સાથે જ આરોગ્ય અને સેવા સેતુ કેમ્પ યોજાશે. બિરસા મુંડાની 150મી જન્મજયંતીની જિલ્લા કક્ષાની ઉજવણીરાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની જિલ્લા કક્ષાની ઉજવણી રાજકોટ શહેરમાં 15 નવેમ્બરના કરવામાં આવશે. શહેરના હેમુ ગઢવી હોલ ખાતે સવારે 11 વાગ્યે કાર્યક્રમનો પ્રારંભ થશે. જેમાં બિરસા મુંડાના જીવન સંઘર્ષનું ફિલ્મ નિદર્શન, આદિજાતિ સમાજના રમતવીરો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને શાળા - કોલેજમાં યોજાયેલી સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવશે. કોલેજના પટાંગણમાં સેવા સેતુ અને આરોગ્ય કેમ્પનું આયોજનરાજકોટ જિલ્લાના 9.71 કરોડના વિકાસ કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. સાથે જ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના પટાંગણમાં સેવા સેતુ અને આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આસપાસના વિસ્તારના લોકો તેમજ જે લોકો આ કાર્યક્રમમાં આવે છે તેઓ આરોગ્ય કેમ્પનો લાભ લઇ શકે છે. આ સાથે જ સેવા સેતુનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં આધાર કાર્ડ, જન્મ મરણના દાખલા, રાશન કાર્ડ, સમાજ સુરક્ષા અને બેંકને લગતી સેવાઓનો લાભ મળી શકે છે. આ ઉપરાંત અન્ય કોઈપણ પ્રકારની શહેરી અને ગ્રામ્ય વિસ્તારની નાગરિક સેવાઓ હોય તે લોકોને પૂરી પાડવામાં આવશે. જેથી વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લે તે જરૂરી છે. બિરસા મુંડાના જીવન-કવન અંગે વકતૃત્વ તથા નિબંધ સ્પર્ધા યોજાશેભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની રાજકોટ જિલ્લાકક્ષાની ઊજવણી હેમુ ગઢવી હોલમાં યોજાશે. રાજકોટ શહેર ઉપરાંત ગોંડલ, ધોરાજી તથા ઉપલેટામાં વસતા વિવિધ આદિવાસી સમૂહો આ કાર્યક્રમમાં તેમની પારંપરિક વેશભૂષામાં ધારણ કરીને આવશે. આ ઉજવણી અંતર્ગત શહેરની સ્કૂલ, કોલેજોમાં ભગવાન બિરસા મુંડાના જીવન-કવન અંગે વકતૃત્વ તથા નિબંધ સ્પર્ધા યોજાશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:59 pm

વર્લ્ડ કપ જીત્યા બાદ રાધા યાદવનું વડોદરામાં ઠેર ઠેર સ્વાગત:BCA પ્રમુખ પ્રણવ અમીને કહ્યું: રાધા યાદવ ક્રિકેટર બનવા માંગતી દરેક યુવતી માટે પ્રેરણાસ્ત્રોત છે

વિશ્વ વિજેતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર સ્પિનર રાધા યાદવનું વડોદરા શહેરમાં વિવિધ જગ્યાઓએ સ્વાગત થઈ રહ્યું છે. રાધા યાદવ આજે એલેમ્બિક ગ્રાઉન્ડ ખાતે બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ના પ્રમુખ પ્રણવ અમીનની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પ્રણવ અમીને રાધા યાદવની સિદ્ધિઓની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, “રાધા યાદવ આજે એ તમામ યુવતીઓ માટે જીવંત પ્રેરણા છે જેઓ ક્રિકેટમાં કરિયર બનાવવા માગે છે. ભારતીય મહિલા ટીમના વર્લ્ડ કપ વિજયથી દેશભરની છોકરીઓમાં નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જાગ્યો છે અને રાધા તેનું સૌથી સુંદર ઉદાહરણ છે.” તેમણે વધુમાં ખાસ ભાર મૂકતાં કહ્યું, “કોઈ પણ ટેલેન્ટેડ યુવતી કે દીકરીને ક્રિકેટમાં આગળ વધવા માટે જો સપોર્ટની જરૂર હોય તો બીસીએ અને હું વ્યક્તિગત રીતે હંમેશા તેમની પડખે ઊભા રહીશું.” રાધા યાદવે પણ આ મુલાકાતમાં પોતાની શરૂઆતના દિવસોની યાદોને તાજી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “મારી ક્રિકેટ યાત્રા એલેમ્બિક ગ્રાઉન્ડથી જ શરૂ થઈ હતી. પિતાજી મને મુંબઈથી વડોદરા લાવ્યા અને અહીં મને પ્રથમ તક મળી. કોચ ગીતા ગાયકવાડ મેડમ અને એલેમ્બિકના તમામ સ્ટાફે મને એટલો સપોર્ટ અને પ્રોત્સાહન આપ્યું કે આજે હું આંતરરાષ્ટ્રીય સ્તરે રમી રહી છું. વડોદરામાં એલેમ્બિક ગ્રાઉન્ડ મારા માટે સૌથી સુરક્ષિત અને સપોર્ટિવ જગ્યા રહ્યું છે. મુલાકાત દરમિયાન બીસીએ દ્વારા વડોદરામાં મહિલા ક્રિકેટને વધુ મજબૂત બનાવવા આગામી દિવસોમાં ખાસ કાર્યક્રમો અને યોજનાઓ અમલમાં મૂકવાની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાતથી વડોદરાની અનેક નવી પેઢીની યુવતી ખેલાડીઓમાં નવો જોશ ભરાયો છે અને રાધા યાદવ જેવી સફળતાની વાર્તા હવે વધુ નજીકથી દેખાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:57 pm

સેક્ટર-11 સ્કાય કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં ભીષણ આગ:વેપારીઓ-સ્થાનિકોમાં ભારે ફફડાટ, 15થી વધુ ફાયરકર્મીઓએ કાબુ મેળવ્યો; આ જ કોમ્પ્લેક્સમાં MLA રીટાબેન પટેલની ઓફિસ

ગાંધીનગરના સેક્ટર 11 સ્થિત સ્કાય લાઇન કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં બપોર બાદ ભીષણ આગ લાગતાં વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ કોમ્પ્લેક્સમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલની ઓફિસ પણ આવેલી છે. જેના કારણે ઘટનાસ્થળે તુરંત અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગને કાબુમા લઈ લીધી હતી. ફાયરની બે ગાડી અને 15થી વધુ કર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતાગાંધીનગરના સેક્ટર 11 સ્થિત સ્કાય લાઇન કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં બપોર બાદ ભીષણ આગ લાગતાં જોતજોતામાં જ્વાળાઓ અને ધુમાડો પહેલા માળ સુધી પહોંચી ગયો હતો, જેને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ગાંધીનગર ફાયર બ્રિગેડની બે ગાડીઓ અને 15થી વધુ ફાયર કર્મીઓની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમે તુરંત પાણીનો મારો ચલાવીને બેઝમેન્ટમાં લાગેલી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યોફાયર બ્રિગેડના જવાનોની સમયસરની કામગીરીના કારણે આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી અને થોડા સમયમાં આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો હતો. જોકે આગ લાગવાના કારણ અંગે સ્થાનિક વેપારીઓમાં ગણગણાટ શરૂ થયો હતો. કેટલાક વેપારીઓ ચર્ચા કરતા હતા કે, જ્યારે રીટાબેન પટેલ મહાનગરપાલિકાના મેયર હતા તે સમયની પ્લાસ્ટિકની ખુરશીઓ બેઝમેન્ટમાં પડી હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સળગતી સિગારેટ કે બીડી કચરામાં ફેંકતાં આગ લાગી: ફાયર ઓફિસરગાંધીનગર ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલે આ દાવાને રદિયો આપ્યો હતો. ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલે જણાવ્યું હતું કે, સ્કાય લાઇન કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં મુખ્યત્વે કચરો અને બેનરો પડ્યા હતા. ત્યાં કોઈ ખુરશીઓ નહોતી. પ્રાથમિક તપાસ અને અનુમાન મુજબ કોઈ વ્યક્તિએ સળગતી સિગારેટ કે બીડી કચરામાં ફેંકી દીધી હોવાથી આ આગ લાગી હોવાનું માનવામાં આવે છે. અમારી ટીમે સ્થળ પર પહોંચીને તાત્કાલિક કાર્યવાહી કરીને આગને કાબૂમાં લઈ લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ફાયર ટીમે આગને ઝડપથી નિયંત્રિત કરીને કોમ્પ્લેક્સમાં મોટું નુકસાન થતું ટાળ્યું હતું. જોકે આ ઘટનાથી સેક્ટર-11 વિસ્તારના અન્ય કોમ્પ્લેક્સના વેપારીઓમાં પણ તકેદારી અને સુરક્ષા વ્યવસ્થા અંગે ચિંતા જરૂર વ્યાપી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:55 pm

માધવપુરમાં ત્રણેય સેનાઓનો સંયુક્ત અભ્યાસ ત્રિશૂલ કવાયત 2025 સફળ:રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્વદેશી પ્રણાલીઓના અસરકારક ઉપયોગ સાથે સંયુક્ત સૈન્ય કાર્યવાહીનું પ્રદર્શન

પોરબંદરમાં માધવપુના દરિયાકાંઠે ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખો - ભારતીય નૌસેના, ભારતીય થલસેના અને ભારતીય વાયુસેના દ્વારા શરૂઆતમાં સંયુક્ત રીતે 'ટ્રાઇ-સર્વિસીસ કવાયત (TSE-2025) - ત્રિશૂળ'નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતમાં ભારતીય નૌસેનાએ મુખ્ય સેવા તરીકેનું નેતૃત્વ કર્યું હતું. TSE-2025નું નેતૃત્વ ભારતીય નૌસેનાના પશ્ચિમી નેવલ કમાન્ડ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય થલસેનાના સધર્ન કમાન્ડ અને ભારતીય વાયુસેનાના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ મુખ્ય સહભાગી રચનાઓ તરીકે જોડાયા હતા. આ કવાયત રાજસ્થાન અને ગુજરાતના ક્રીક (ખાડી) અને રણ પ્રદેશોની સાથે ઉત્તર અરબી સમુદ્રમાં મલ્ટીલેવલ ઓપરેશન્સ સહિતના દરિયાઈ ક્ષેત્રમાં મોટા પાયે આયોજિત કરવામાં આવી હતી. આમાં ભારતીય કોસ્ટ ગાર્ડ, સીમા સુરક્ષા દળ (BSF) અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ પણ સામેલ થઈ હતી, જેણે આંતર-એજન્સી સંકલન અને સંકલિત ઓપરેશન્સને મજબૂત બનાવ્યું હતું. આ કવાયતનું મુખ્ય કેન્દ્રબિંદુ સશસ્ત્ર દળો વચ્ચેની તાલમેલ વધારવા, તેમજ ત્રણેય સેવાઓમાં બહુ-ક્ષેત્રીય સંકલિત ઓપરેશનલ પ્રક્રિયાઓને માન્ય કરવા અને સુમેળ સાધવા પર હતું. આનાથી સંયુક્ત અસર-આધારિત ઓપરેશન્સ શક્ય બન્યા. મુખ્ય ઉદ્દેશ્યોમાં પ્લેટફોર્મ્સ અને માળખાકીય સુવિધાઓની આંતર-કાર્યક્ષમતા વધારવા, સેવાઓમાં નેટવર્કના એકીકરણને મજબૂત કરવા અને ઓપરેશન્સમાં સંયુક્તતાને આગળ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કવાયતમાં સંયુક્ત ગુપ્તચર, દેખરેખ અને જાસૂસી પ્રક્રિયાઓ, ઈલેક્ટ્રોનિક વોરફેર (EW) અને સાયબર વોરફેયર યોજનાઓને પણ માન્ય કરવામાં આવી હતી. ભારતીય નૌસેનાના કેરિયર ઓપરેશન્સને ભારતીય વાયુસેનાની કિનારા-આધારિત સંપત્તિઓ સાથે સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યા હતા, જેથી શ્રેષ્ઠ પ્રથાઓનું આદાનપ્રદાન થઈ શકે અને હવાઈ કામગીરી માટે સંયુક્ત SOPs (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ) માન્ય થઈ શકે. કવાયત 'ત્રિશૂળ'માં સ્વદેશી પ્રણાલીઓના અસરકારક ઉપયોગ અને આત્મનિર્ભર ભારતના સિદ્ધાંતોના સમાવેશ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ઉભરતા જોખમો અને સમકાલીન તેમજ ભવિષ્યના યુદ્ધની વિકસતી પ્રકૃતિને સંબોધવા માટે અનુકૂળ પ્રક્રિયાઓ અને તકનીકોને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ટ્રાઇ-સર્વિસીસ કવાયત-૨૦૨૫ ના સફળ આયોજને ભારતીય સશસ્ત્ર દળોના સંપૂર્ણપણે સંકલિત રીતે કાર્ય કરવાના સામૂહિક સંકલ્પને રેખાંકિત કર્યો છે, જેનાથી સંયુક્ત ઓપરેશનલ સજ્જતા અને રાષ્ટ્રીય સુરક્ષાની તૈયારીમાં વધારો થયો છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:55 pm

Editor's View: નીતિશ મોદીને દગો દેશે?:NDA બેડાંમાં ટેન્શન, છેલ્લી ઘડીએ પેચ ફસાવાના ત્રણ મજબૂત કારણ, બિહારમાં પરિણામ પહેલાં સત્તાનાં સોગઠાં સેટ

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં દર વખતે લોકોને એટલો રસ નથી હોતો, જેટલો આ વખતે છે. આ વખતે રસ હોવાનાં ત્રણ કારણો છે.નીતિશ કુમારની ભૂલવાની બિમારીના કારણે તે 10મી વાર CM બનશે કે નહિરાહુલ-તેજસ્વીએ સાથે મળીને મહાગઠબંધનમાં એડી ચોટીનું જોર લગાવ્યું છેપ્રશાંત કિશોરની નવી પાર્ટીનું શું થશે… જોકે બંને તબક્કામાં ઐતિહાસિક મતદાન થયું છે એટલે રાજકીય પક્ષોના જીવ તાળવે ચોંટ્યા છે. બીજું, 12 જેટલા એક્ઝિટ પોલમાં NDAની સરકાર બહુમતીથી આવશે, તેવું વલણ છે. પણ બિહારના અગાઉના એક્ઝિટ પોલ ક્યારેય સાચા પડ્યા નથી. નમસ્કાર, બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં બે તબક્કા પૂરા થયા છે. દેશ આઝાદ થયો ત્યારથી એટલે 75 વર્ષમાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સૌથી વધારે મતદાન થયું છે. પહેલા તબક્કામાં 65.09% અને બીજા તબક્કામાં 68.52% જંગી મતદાન થયું છે. NDA માટે પડકાર એ છે કે મુસ્લિમ વિસ્તારોમાં 77 ટકા જેટલું વોટિંગ થયું છે.બિહાર માટે એવું કહેવાય છે કે વોટિંગમાં 5 ટકાથી વધારેનો ઉલટફેર થાય ત્યારે સત્તા પરિવર્તન થાય છે. જોકે આમાં અપવાદ પણ છે. સાચું ચિત્ર તો 14 નવેમ્બરે રિઝલ્ટ આવે ત્યારે જ સામે આવશે પણ એક વાત તો નક્કી છે કે આ વખતે બિહારની ચૂંટણીમાં ધાર્યા કરતાં કાંઈક નવાજૂની થવાની છે. એક્ઝિટ પોલમાં ફીર એકબાર NDA સરકારઅલગ અલગ એજન્સીઓએ એક્ઝિટ પોલ બહાર પાડ્યા અને તમામ એક્ઝિટ પોલમાં NDA સરકારને સ્પષ્ટ બહુમતી મળતી દેખાય છે. મહાગઠબંધનને ખાસ સીટો મળી નથી અને પ્રશાંત કિશોરની મહેનત પર પાણી ફરી વળ્યું છે તેવું એક્ઝિટ પોલના વલણમાં દેખાય છે. વલણો શું કહે છે? મહાગઠબંધનમાં અંદરના ડખા નડ્યા? જો NDA સત્તામાં આવે તો મુખ્યમંત્રી માટે પેચ ફસાઈ શકેબિહારની ચૂંટણીનો પ્રચાર ચાલતો હતો ત્યારે ભાજપે સ્પષ્ટ કહ્યું હતું કે અમે નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડીશું. જ્યારે અમિત શાહને પૂછવામાં આવ્યું કે, NDA જીતે તો નીતિશ જ CM બનશે? ત્યારે શાહે જવાબ આપ્યો હતો કે એ ચૂંટણી પરિણામો આવી જાય પછી વિચારીશું. આનો અર્થ એ થયો કે જો એક્ઝિટ પોલ સાચા પડ્યા ને NDA સત્તામાં આવે છે તો ભાજપ અને નીતિશ વચ્ચે મુખ્યમંત્રીના ચહેરાને લઈને પેચ ફસાઈ શકે છે. પ્રશાંત કિશોરને કિંગ મેકર નહિ, કિંગ બનવું છેપ્રશાંત કિશોરને ભારતીય રાજનીતિના ચાણક્ય માનવામાં આવે છે. ચૂંટણી વખતે પાસાં ગોઠવવામાં એ માહિર છે. અત્યાર સુધી પ્રશાંત કિશોર કિંગ મેકરની ભૂમિકામાં રહ્યા હતા પણ આ વખતે બિહારની ચૂંટણીની તમામ સીટોમાં પોતાના ઉમેદવારોને લડાવીને કિંગ બનવું છે. મુખ્ય લડાઈ NDA અને મહાગઠબંધન વચ્ચે રહી છે પણ આ વખતે પ્રશાંત કિશોરની ત્રીજી પાર્ટી જનસુરાજ પણ ચિત્રમાં છે એટલે રસાકસી સારી થશે. બિહારમાં બમ્પર મતદાન થયું છે. આનાથી કોનો ફાયદો થશે? બિહારમાં આ વખતે પહેલા તબક્કામાં પુરૂષોની સરખામણીમાં મહિલાઓએ 7.5 ટકા મતદાન વધારે કર્યું છે. મહિલાઓનું મતદાન ઘણા સવાલો ઊભા કરે છે. શું નીતિશ સરકારે મહિલાઓના ખાતામાં 10-10 હજાર નાખ્યા તેના કારણે મતદાન થયું છે કે મહાગઠબંધને 'વોટ ચોરી'ની વાતો ચાલુ રાખી તેના કારણે મહિલાઓનું મતદાન થયું હતું? આ સવાલનો જવાબ મતપેટીમાં પૂરાઈ ગયો છે. બિહારની વસ્તી 13 કરોડ છે પણ મતદારો 7 કરોડ 40 લાખ છે. તેમાંથી 50% મતદારો યુવા મતદારો છે. આઝાદી પછી પણ સૌથી પછાત રાજ્ય બિહારએવું ભલે કહેવાય કે આઝાદી પછી બિહારમાં સૌથી વધારે મતદાન થયું છે પણ આઝાદી પછી ભારતમાં સૌથી પછાત રાજ્ય પણ બિહાર જ રહ્યું છે. કહી શકાય એવો સાચો અને સારો વિકાસ થયો નથી. દેશના બીજા રાજ્યોની સરખામણીમાં બિહારમાં પરકેપિટા ઈન્કમ એટલે માથાંદીઠ આવક સૌથી ઓછી છે. બંને તબક્કામાં સારું મતદાન, બિહારમાં નવાજૂની થશે?બિહારમાં વિધાનસભાની કુલ 243 સીટ છે. પહેલા તબક્કામાં 18 જિલ્લામાં 121 સીટ પર મતદાન થયું. એ મતદાનની ટકાવારી 65.09% થઈ છે. 20 જિલ્લાની 122 બેઠકો માટે 11મી તારીખે મતદાન થયું. જેમાં મતદાનની ટકાવારી 68.52% થઈ છે. ભાજપ એવો દાવો કરી રહ્યો છે કે અમે એટલે કે NDA 243માંથી 160 બેઠકો મેળવીશું. બીજી તરફ રાહુલ અને તેજસ્વી પણ દાવો કરી રહ્યા છે કે અમે સ્પષ્ટ બહુમતી મેળવીશું. આ વખતે બિહારમાં કાંઈ નવાજૂની થાય તો નવાઈ નહિ. કારણ કે જ્યારે જ્યારે મતદાનની ટકાવારીમાં મોટો ઊલટફેર થયો છે ત્યારે ત્યારે સત્તા પરિવર્તન થયું છે. બિહારમાં નીતિશ કુમારની છાપ પલટુરામ તરીકેની છે. 9 વાર મુખ્યમંત્રી રહ્યા છે. ભાજપે એવો માહોલ બનાવ્યો કે અમે નીતિશ કુમારના નેતૃત્વમાં જ ચૂંટણી લડીશું. પણ એવું નથી કહ્યું કે NDAના મુખ્યમંત્રી નીતિશ કુમાર જ હશે. ભાજપને નીતિશ કુમારના ચહેરા પર ચૂંટણી જીતવામાં રસ છે, ભાજપને નીતિશનું નેતૃત્વ જોઈતું નથી. આવું ઘણા પોલિટિકલ એક્સપર્ટ પણ કહી ચૂક્યા છે. ચૂંટણી પહેલાં એવી હવા બંધાઈ હતી કે ભાજપ અને નીતિશ વચ્ચે માથાકૂટ ચાલતી હતી. ભાજપે ચિરાગ પાસવાનને 29 સીટ આપી દીધી તેનાથી નીતિશને પેટમાં દુખ્યું. તેણે ચિરાગને ફાળવેલી પાંચ સીટ પર પોતાના 5 સ્વતંત્ર્ય ઉમેદવારો ઊભા રાખ્યા. આ ચાર ચૂંટણીમાં મતદાનમાં ઊલટફેર થયો ને સત્તા પરિવર્તન પણ થયું1967 : રાજ્યમાં પહેલીવાર બિન-કોંગ્રેસી સરકારઆ ચૂંટણીમાં મતદાન 7% વધ્યું હતું. તેના કારણે પહેલીવાર બિન-કોંગ્રેસી સરકાર રચાઈ હતી, જોકે સરકાર અસ્થિર રહી. મહામાયા પ્રસાદ સિંહા મુખ્યમંત્રી બન્યા. જન ક્રાંતિ દળ અને શોષિત દળે કોંગ્રેસનું વર્ચસ્વ તોડ્યું, પરંતુ તેમની એકતા જાળવી રાખવામાં નિષ્ફળ ગયા. આ ચૂંટણીથી કોંગ્રેસ નબળી પડતી ગઈ.1980 : મહામહેનતે કોંગ્રેસે ફરી સત્તા મેળવીઆ સાલમાં મતદાન 6.8% વધુ હતું. કોંગ્રેસ પોતાના દમ પર સત્તામાં પાછી આવી, જગન્નાથ મિશ્રા મુખ્યમંત્રી બન્યા. એ સમયે આંતરિક સંઘર્ષોને કારણે કોંગ્રેસે જનતા પાર્ટીને સત્તામાંથી છીનવી લીધી. જોકે કોંગ્રેસ પાર્ટીની આંતરિક રાજનીતિએ 10 વર્ષમાં જ તેના શાસનનો અંત લાવી દીધો.1990 : કોંગ્રેસ શાસનનો અંત, લાલુ યાદવ મુખ્યમંત્રી બન્યાએ વર્ષની ચૂંટણીના મતદાનમાં 5.8%નો વધારો થયો, જેના કારણે કોંગ્રેસ સત્તા પરથી દૂર થઈ ગઈ. જનતા દળ-યુનાઈટેડ (JDU)એ સરકાર બનાવી અને લાલુ યાદવ મુખ્યમંત્રી બન્યા. એ પછી એ પછી બિહારના રાજકારણાં કોંગ્રેસ ક્યારેય સત્તામાં આવી શકી નહિ. લાલુ યાદવે બિહારના રાજકારણની ધરીને બદલી નાખી ને 15 વર્ષ શાસન કર્યું.2005 : લાલુ શાસનનો અંત, નીતિશ મુખ્યમંત્રી બન્યાઆ વર્ષમાં મતદાન મતદારો નિ:રસ રહ્યા. વોટિંગ 16.1% ઓછું હતું. આ ચૂંટણીમાં લાલુ-રાબડી શાસનનો અંત આવ્યો. નીતિશ કુમાર મુખ્યમંત્રી બન્યા. આ વખતે ઓછા મતદાનને કારણે સત્તા પરિવર્તન થયું. નીતિશ કુમારે સુશાસનની છબિ કેળવી અને 20 વર્ષથી બિહારમાં સત્તા સંભાળી છે. ગુજરાતમાં આમઆદમી પાર્ટી ને બિહારમાં જનસુરાજ પાર્ટીગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં હતી ત્યારે ત્રિપાંખિયો જંગ હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. આ ત્રિપાંખિયા જંગમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો કોંગ્રેસના મત કાપી ગયા એટલે કોંગ્રેસ ત્યાંની ત્યાં રહી ગઈ. ભાજપે 156 સીટ સાથે જંગી બહુમતી મેળવી. બિહારમાં NDA, મહાગઠબંધનની સાથે ત્રીજો મોરચો જનસુરાજ પાર્ટીનો છે. જો બિહારમાં ગુજરાત પેટર્નથી મતદાન થયું હશે તો ફાયદો NDAને થવાનો છે અને મહાગઠબંધન હતું ત્યાં ને ત્યાં રહી જશે. પણ બિહારમાં આ વખતે ઐતિહાસિક વોટિંગ થયું છે એટલે પ્રશાંત કિશોરે કોના મત કાપ્યા તે કળી શકાય એવું નથી. ભાજપ 'મોટાભાઈ'ને સાઈડ લાઈન કરવાની ફિરાકમાંઅત્યાર સુધી નીતિશ કુમાર મોટાભાઈ ગણાતા હતા. તેમની પાર્ટીને વધારે બેઠકો ફાળવાતી હતી. નીતિશ કુમારને 125 બેઠકો ફાળવાય તો ભાજપને 75 ફાળવાતી હતી. આ વખતે એવું નથી. આ વખતે નીતિશ કુમારને 101 અને ભાજપને 101 બેઠકો ફાળવાઈ છે. બંનેએ સરખાભાગે સીટો વહેંચી છે, જે નીતિશને પસંદ આવ્યું નથી. બીજું, કેન્દ્રીયમંત્રી ચિરાગ પાસવાનની પાર્ટી લોજપાને આ વખતે 29 બેઠકો આપી છે. ઉપેન્દ્ર કુશવાહા અને જીતનરામ માંઝીની પણ દાળ નહિ ગળે એવું મનાય રહ્યું છે. બિહારની ચૂંટણીમાં ભાજપે એક ડઝન કેન્દ્રીય મંત્રીઓ, 100થી વધારે સાંસદોને કામે લગાડ્યા હતા. ભાજપે 300 જેટલી જાહેરસભાઓ કરી છે. દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયો તેના આગલા બે દિવસથી અમિત શાહે બિહારમાં ધામા નાખ્યા હતા. એટલે નક્કી કાંઈક ગરબડ છે એવું દેખાય છે. નીતિશ કુમાર જીતી જાય ને પલટી મારી જાય તો નવાઈ નહિદિલ્હીમાં ભલે મોદી-શાહ ચેકમેટ કરતા હોય પણ બિહારમાં એ જ દાવ ચાલે છે જે નીતિશ રમે છે. નીતિશની છાપ ભલે પલટુરામની હોય પણ તેને કોઈ ખુરશી પરથી હટાવી શક્યું નથી. આ વખતે એવો ભય છે કે માનો કે NDA જીતે છે પણ નીતિશને બદલે બીજા કોઈને CM બનાવવા ભાજપ દાવપેચ કરે તો નીતિશ કુમાર ખુરશી જાળવવા પલટી મારી જશે અને NDAની મહેનત પર પાણી ફરી વળશે. નીતિશ કુમાર જીતી ગયા પછી પણ પલટી મારી શકે છે. આ જ વાતનો ભય ભાજપને પણ છે. ચૂંટણી પછી બિહારની રાજનીતિ 3 રીતે બદલાશે આ પોઈન્ટ પણ સમજવા જેવા છે છેલ્લે,પ્રશાંત કિશોરે પોતાની જ પાર્ટી માટે કરેલી ભવિષ્યવાણી સાચી પડતી દેખાય છે. PKએ કહેલું કે પરિણામોમાં જનસુરાજ પાર્ટી કાં તો અર્શ પર હશે અથવા ફર્શ પર હશે. એટલે કાં તો 100 સીટ મળશે ને કાં તો 10 સીટ પણ નહિ મળે. એક્ઝિટ પોલ જોતાં એવું લાગે છે કે પીકે અર્શ પર નહિ પણ ફર્શ પર જ રહશે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ... આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:55 pm

સુરેન્દ્રનગર શહેર બનશે 'વાયર અને થાંભલા મુક્ત':નાયબ મુખ્ય દંડકના હસ્તે 60 કરોડના ખર્ચે થનારા અંડરગ્રાઉન્ડ કેબલ વર્કના કામનો પ્રારંભ

સુરેન્દ્રનગર જિલ્લામાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી GOG-Robust યોજના (અંડરગ્રાઉન્ડ કેબલ વર્ક) અંતર્ગત વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે અંદાજિત રૂ. 60 કરોડના ખર્ચે થનારા આ અંડરગ્રાઉન્ડ કેબલ વર્કનો પ્રારંભ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર થયો. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના નાગરિકોને વીજળી સંબંધિત માળખાગત સુવિધાઓમાં વધારો કરવાનો છે. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, આ યોજના સુરેન્દ્રનગર જિલ્લાનું લાંબા સમયથી જોવાયેલું સ્વપ્ન છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય સુરેન્દ્રનગર શહેરને 'વાયર મુક્ત' અને 'થાંભલા મુક્ત' બનાવવાનો છે, જેનાથી શહેરની સુંદરતા અને વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો થશે. હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે પાવરહાઉસ ફીડર અને હાટકેશ્વર ફીડર એમ બે ફીડરમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે. મકવાણાએ શહેરના અન્ય વિસ્તારોને પણ આવરી લેવાની સરકારની યોજના વિશે માહિતી આપતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બાકીના 10 નવા ફીડરો માટે પણ દરખાસ્તો રજૂ કરવામાં આવી છે, અને તેની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. તેમણે ઉમેર્યું હતું કે વઢવાણ, રતનપર, જોરાવરનગર અને દુધરેજ સહિત સુરેન્દ્રનગર સિટીના સમગ્ર વિસ્તારને આગામી ચાર વર્ષમાં વાયર મુક્ત બનાવવાનો લક્ષ્યાંક છે. અંડરગ્રાઉન્ડ કેબલિંગના સીધા ફાયદાઓ ગણાવતા નાયબ મુખ્ય દંડક મકવાણાએ કહ્યું કે, GOG-Robust યોજના ગુજરાતના વીજળી ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ માળખાગત સુધારાનું પગલું છે. આ વિકાસ કામ થકી નાગરિકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી મળશે. ભૂગર્ભમાં લાઈનો જવાથી ચોમાસામાં વાવાઝોડા કે બે તાર ભેગા થવાથી વીજળી ડૂલ થવાના બનાવો હવે નહીં બને, જેનાથી લાખો વીજ ગ્રાહકોને વિશ્વસનીય અને અવિરત વીજળીનો લાભ મળશે. સાથે જ, મકરસંક્રાંતિ દરમિયાન પતંગના દોરા કે વાયરથી થતા શોર્ટ સર્કિટના જોખમી બનાવો પણ દૂર થશે. થાંભલાઓ દૂર થવાથી રસ્તાઓ પહોળા દેખાશે, દબાણની સમસ્યા હળવી થશે, અને શહેર ખરા અર્થમાં સુંદર અને રળિયામણું લાગશે. આ પ્રસંગે રાજ્ય સરકારની અન્ય જનકલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતાં વધુમાં જણાવ્યું હતું કે, કિસાન સૂર્યોદય યોજનાના કારણે સુરેન્દ્રનગરના ખેડૂતોને હવે દિવસે સિંચાઈ માટે વીજળી મળી રહી છે. વધુમાં, લોકોને સ્માર્ટ મીટર લગાવવા માટે અનુરોધ કરતાં કહ્યું હતું કે, સ્માર્ટ મીટર એ સરકારની યોજના છે. ખોટી અફવાઓમાં ના આવી દરેકે સ્માર્ટ મીટર લગાવવુ જોઈએ. હાલ જિલ્લામાં 40,000 સ્માર્ટ મીટર લાગી ગયા છે અને કામગીરી ચાલુ જ છે. કાર્યક્રમની શરૂઆતમાં પીજીવીસીએલ, વર્તુળ કચેરી, સુરેન્દ્રનગરના કાર્યપાલક ઈજનેર એન.એન.અમીનએ ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને અંડરગ્રાઉન્ડ કેબલ વર્ક પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી આપી હતી. આ તકે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને પુસ્તક અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રણી હિતેન્દ્રસિંહભાઈ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા, ધીરુભાઈ સિંધવ, દેવાંગભાઈ રાવલ સહિતના પદાધિકારીઓ, અગ્રણીઓ, પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:54 pm

જામતારા સાયબર ફ્રોડ ગેંગનો વધુ એક સભ્ય ઝડપાયો:વ્હોટ્સએપ પર નકલી ઈ-ચલણની APK ફાઈલ મોકલી મોબાઈલ હેક કરતા, ફોનનું સંપૂર્ણ એક્સેસ સાયબર ફ્રોડ માફિયા પાસે રહેતો

સુરત શહેર પોલીસની સાયબર ક્રાઇમ સેલે વ્હોટ્સએપ દ્વારા બનાવટી ડિજિટલ ટ્રાફિક ઇ-ચલણની APK ફાઇલ મોકલીને મોબાઇલ ફોન હેક કરી ઓનલાઇન નાણાં પડાવવાના સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા વધુ એક મુખ્ય આરોપીને ધનબાદ ઝારખંડ ખાતેથી ઝડપી પાડ્યો છે. સુરતના એક નાગરિક સાથે રૂ. 7,54,000ની છેતરપિંડી કરવામાં આવી હતી, જેમાં હવે વધુ રાજ્યોના ગુનાઓ પણ ખૂલ્યા છે. એક શંકાસ્પદ ફાઇલ વ્હોટ્સએપ દ્વારા મોકલવામાં આવી હતીફરિયાદીના મોબાઇલમાં અજાણ્યા નંબર પરથી 'Traffice Challan 2500.apk' નામની એક શંકાસ્પદ ફાઇલ વ્હોટ્સએપ દ્વારા મોકલવામાં આવી હતી. ફરિયાદીએ આ ફાઇલને ટ્રાફિક ઇ-ચલણ સમજીને ડાઉનલોડ કરતાં જ તેમના મોબાઇલ ફોનનું સંપૂર્ણ એક્સેસ સાયબર ફ્રોડ આચરનારા આરોપીઓ પાસે જતું રહ્યું હતું. આ ટેકનિકલ એક્સેસ મેળવ્યા બાદ આરોપીઓએ ફરિયાદીના બેંક ખાતામાંથી ટુકડે-ટુકડે કુલ રૂ. 7,54,000 ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા હતા. છેતરપિંડી થયાનું જણાતાં જ ફરિયાદીએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર 1930 પર ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ 8 સપ્ટેમ્બર 2025ના રોજ સાયબર ક્રાઇમ સેલ ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ પણ વાંચો: જામતારાનો 9 ફેલ માસ્ટરમાઇન્ડ એક 'બાઇક રીલ'થી પકડાયો:અભણ ગેંગનું થ્રી-લેયરનું મેનેજમેન્ટ મોડલ, સુરત સાયબર ક્રાઇમનું ઓપરેશન કોલકાતા અને ધનબાદથી આરોપીઓની ધરપકડઆ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સાયબર ક્રાઇમ સેલે ટેક્નિકલ વર્કઆઉટના આધારે તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં, તપાસ ટીમ કોલકાતા ખાતે મોકલવામાં આવી હતી, જ્યાંથી આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ, રનજીત પાસ્વાન અને દિપુ દાસને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પૂછપરછ દરમિયાન, મુખ્ય આરોપી વિક્રમ વિશ્વનાથ મંડલની સંડોવણી જણાઈ આવી હતી. વિક્રમ મંડલ અને અન્ય નાસતા-ફરતા આરોપીઓની તપાસ માટે સાયબર ક્રાઇમ સેલની ટીમને ધનબાદ ઝારખંડ ખાતે મોકલી આપવામાં આવી હતી, જ્યાંથી આરોપી વિક્રમ વિશ્વનાથ મંડલ (ઉ.વ. 27, રહે. ખટજોરી, ધનબાદ, ઝારખંડ)ની ધરપકડ કરવામાં આવી હતી. વિક્રમ મંડલની આ સાયબર ફ્રોડના નેટવર્કમાં મહત્ત્વની ભૂમિકાઝડપાયેલા આરોપી વિક્રમ મંડલની આ સાયબર ફ્રોડના નેટવર્કમાં મહત્ત્વની ભૂમિકા સામે આવી છે, ફરિયાદીને મોકલવામાં આવેલી RTO ઇ-ચલણની બનાવટી APK ફાઇલનું ફોરેન્સિક ટેક્નિકલ એનાલિસિસ કરવામાં આવ્યું, જેમાં સામે આવ્યું કે આ ફાઇલ વિક્રમ મંડલે Go-daddy ડોમેઇન (Jsonserv.Xyz) પર હોસ્ટ કરી હતી. ડોમેઇન ખરીદવા માટેની ચુકવણી પણ તેણે જ કરી હતી. આરોપીના જુદી-જુદી બેંકોમાં આવેલા 3 બેંક ખાતાઓની ચકાસણીઆરોપી વિક્રમ મંડલે નાસતા-ફરતા આરોપી મુકેશ તિવારીને ટ્રાન્ઝેક્શન ઉપર 10 % કમિશન મેળવવાના ધોરણે પોતાનું UPI ID આપેલું હતું. આ UPI IDમાં ટુકડે-ટુકડે પાંચ લાખ રૂપિયા આવ્યા હતા. તેમાંથી વિક્રમ મંડલે પોતાનું રૂ. 50,000નું કમિશન મેળવી, બાકીની રકમ મુકેશ તિવારીના કહેવા મુજબ અલગ-અલગ બેંક એકાઉન્ટો અને UPI IDમાં ટ્રાન્સફર કરતો હતો. આરોપી વિક્રમ મંડલના જુદી-જુદી બેંકોમાં આવેલા કુલ 3 બેંક ખાતાઓની ચકાસણી કરવામાં આવતા, તેમાં કુલ મળીને રૂ. 23,50,952ના ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા છે. આ દર્શાવે છે કે આરોપી મોટા પાયે આ પ્રકારની સાયબર ગતિવિધિઓમાં સંડોવાયેલો હતો. અન્ય રાજ્યોમાં પણ છેતરપિંડીઆ ગુનામાં સંડોવાયેલા બેંક એકાઉન્ટોની તપાસ કરતા બહાર આવ્યું છે કે, આ નેટવર્ક દ્વારા જુદા જુદા રાજ્યોમાં NCCRP Portal પર કુલ 5 અન્ય ફરિયાદો પણ નોંધાયેલી છે. આ ફરિયાદોમાં કુલ મળીને રૂ. 15,62,499ની રકમનું ફ્રોડ આચરવામાં આવ્યું છે. સાયબર સેલની ટીમ દ્વારા ધનબાદ ખાતેથી ઝડપી પાડવામાં આવેલા આરોપી વિક્રમ મંડલના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને તેને સુરત લાવવામાં આવ્યો છે. કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા, કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અને નાણાકીય વ્યવહારોની વધુ તપાસ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:47 pm

અમદાવાદના ત્રણ ઓવરબ્રિજ પર ફેબ્રુઆરીમાં વાહનો દોડતા થઈ જશે:હેબતપુર, મકરબા અને સતાધાર બ્રિજ બની જતા ચાર લાખથી વધુ વાહનચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ત્રણ ઓવરબ્રિજ બનાવવામાં આવેલા છે. હેબતપુર, મકરબા અને સતાધાર એમ ત્રણ જગ્યાએ ઓવરબ્રિજ બનાવવામાં આવેલા છે. ત્રણેય ઓવરબ્રિજમાં 75 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આગામી ફેબ્રુઆરી મહિના સુધીમાં ત્રણેય ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થઈ જતા પશ્ચિમના ચાર લાખથી વધુ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધતા હેબતપુરથી થલતેજ, મકરબાથી કોર્પોરેટ રોડ અને ઘાટલોડીયાથી સતાધાર તરફ જવાના રોડ પર મુખ્ય ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનાવવામાં આવેલા છે. મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે જેથી હવે ચાર મહિનામાં કામગીરી પૂર્ણ થતા નાગરિકો માટે ખુલ્લા મુકવામાં આવશે અને વાહનચાલકોને અવરજવરમાં સરળતા રહેશે. મકરબા રેલવે બ્રિજમાં યુટીલીટીને લઈને પ્રોબ્લેમ સામે આવ્યો હતો જે દૂર કર્યા બાદ હવે ઝડપી કામગીરી થશે. જે પણ ઓવરબ્રિજની કામગીરી બાકી છે તેને ઝડપથી પૂર્ણ કરવા માટેની સૂચના અધિકારીઓને આપી છે. મકરબા વિસ્તારમાં 80 કરોડના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણટોરેન્ટ પાવર મકરબાથી કોર્પોરેટ રોડ / એસ જી હાઈવે કનેક્ટ થતા 40 મીટરના રસ્તા ઉપર ફોર લેન રેલ્વે ઓવરબ્રિજ રૂ. 80 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. જેની લંબાઈ આશરે 640 મીટર થાય છે તથા 4 લેન બ્રિજ મુજબ આશરે કુલ 16.40 મીટર પહોળાઈ રાખવામાં આવી છે. બ્રિજની કામગીરીમાં એપ્રોચ પોર્શનની તમામ સુપરસ્ટ્રકચર સુધીની કામગીરી પુર્ણ કરવામાં આવેલ છે તેમજ રેલ્વે સ્પાનમાં ફાઉન્ડેશન, સબસ્ટ્રકચર તેમજ પીયરકેપ સુધીની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. જેમાં એપ્રોચ પોર્શનનો ફીજીકલ પ્રોગ્રેસ આશરે 93 ટકા જેટલો તેમજ રેલ્વે પોર્શનનો ફીજીકલ પ્રોગ્રેસ આશરે 65 ટકા જેટલો થયેલો છે. આ બ્રિજ બનાવથી મકરબા બાજુથી કોર્પોરેટ રોડ તરફ તથા એસ.જી. હાઇવેની કનેકટીવીટી મળશે, જેના કારણે મકરબા, સરખેજ વોર્ડ તેમજ કોર્પોરેટ રોડ વગેરે વિસ્તારને લાભ મળશે તેમજ શહેરના આશરે કુલ 1.50 લાખ વાહનચાલકોને તેનો લાભ મળશે. હેબતપુરમાં ઓવરબ્રિજ બનતા દોઢ લાખ વાહનચાલકોને ફાયદો થશેહેબતપુર ખાતે થલતેજ થી હેબતપુર સોલા સાયન્સ સીટી વિસ્તારને જોડતા રેલ્વે ઓવરબ્રિજ રૂ. 74.15 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. જેની લંબાઈ આશરે 979 મીટર થાય છે તથા 4 લેન બ્રીજ મુજબ આશરે કુલ 19.50 મીટર પહોળાઇ રાખવામાં આવેલી છે. બ્રિજની કામગીરીમાં એપ્રોચ પોર્શનની તમામ સુપરસ્ટ્રકચર સુધીની કામગીરી પુર્ણ કરવામાં આવી છે તેમજ રેલ્વે સ્પાનમાં ફાઉન્ડેશન, સબસ્ટ્રકચર તેમજ પીયરકેપ સુધીની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. જેમાં એપ્રોચ પોર્શનને ફિઝિકલ પ્રોગ્રેસ આશરે 85 જેટલો તેમજ રેલ્વે પોર્શનનો ફિઝિકલ પ્રોગ્રેસ આશરે 73 ટકા જેટલો થયો છે. બ્રિજ બનવાથી પશ્ચિમ વિસ્તારમાં થલતેજ થી હેબતપુર સોલા સાયન્સ સીટી વિસ્તારને કનેકટીવીટી મળશે.જેના કારણે થલતેજ, હેબતપુર, સાયન્સસીટી વગેરે વિસ્તારને લાભ મળશે તેમજ શહેરના આશરે કુલ 1.50 લાખ વાહનચાલકોને તેનો લાભ મળશે. સત્તાધાર વિસ્તારમાં ફ્લાયઓવર બનતા દોઢ લાખ વાહનચાલકોને ટ્રાફિકમાં રાહત મળશેસત્તાધાર જંકશન પર ફોર લેન ફલાય ઓવરબ્રિજ રૂ . 103 કરોડમાં બની રહ્યો છે. આ ઓવરબ્રિજ 975 મીટર છે તથા 4 લેન બ્રીજ મુજબ આશરે કુલ 16.50 મીટર પહોળાઇ રાખવામાં આવી છે. બ્રિજની કામગીરીમાં ફાઉન્ડેશન, સબસ્ટ્રકચર તેમજ સાલબાજુના ભાગમાં તમામ બ્રીજ સુપરસ્ટ્રકક્ચરની કામગીરી પુર્ણ કરવામાં આવેલ છે તેમજ ચાણકયપુરી ભાજુના ભાગમાં હાલમાં ડેક સ્લેબ તથા સુપરસ્ટ્રક્ચરની કામગીરી પ્રગતિમાં છે. સદર કામગીરીમાં આશરે 85 ટકા જેટલો ફીજીકલ પ્રોગ્રેસ થયો છે. બ્રિજ બનવાથી સત્તાધાર જંકશન પરનો ટ્રાફિકનો હલ આવશે.જેના કારણે ઘાટલોડિયા, સોલા, થલતેજ, ચાણક્યપુરી જેવા વિસ્તારને લાભ મળશે તેમજ શહેરના આશરે કુલ 1.50 લાખ વાહનચાલકોને તેનો લાભ મળશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:43 pm

RSSની શતાબ્દી વર્ષની ઉજવણીનો ત્રીજો દિવસ:મંત્રી રીવાબા જાડેજા અને અર્જુન મોઢવાડિયાએ પ્રદર્શની નિહાળી, RSSના મહત્વપૂર્ણ પ્રસંગો વિશે માહિતી મેળવી

RSSની શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં સંઘની શતાબ્દી વર્ષની ઉજવણી થઈ રહી છે, જેનો આજે ત્રીજો દિવસ છે. RSSની 100 વર્ષની ભૂમિકા પર પ્રદર્શની અને મલ્ટિમિડીયા શોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મંત્રી રીવાબા જાડેજા અને અર્જુન મોઢવાડિયા RSSની શતાબ્દી વર્ષની ઉજવણી નિહાળવા માટે પહોંચ્યા હતા. બંને મંત્રીઓએ RSSની ભૂમિકા પર બનાવવામાં આવેલી પ્રદર્શની નિહાળી હતી તેમજ મલ્ટીમીડિયા શોમાં ડોક્યુમેન્ટરી પણ નિહાળી હતી. સંઘના 100 વર્ષની પ્રદર્શની પણ નિહાળી કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થયા. સંઘના 100 વર્ષની પ્રદર્શની પણ નિહાળી છે. સંઘમાં જે મહાનુભાવોનું અનન્ય પ્રદાન હતું તેની માહિતી પણ મેળવી તેમજ સંઘ પરનો જે અભિપ્રાય છે, તે મહાત્મા ગાંધીજીનો હોય, સરદાર પટેલનો હોય જે બીજા મહાનુભાવને હોય. આજે પ્રબુદ્ધ નાગરિકો સાથે પણ સંવાદ કરી જાણકારી મેળવી છે. ભારત ક્યારે ભૂલી ન શકે એવું સંઘનું 100 વર્ષનું પ્રદાન છે. કોઈપણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર સંઘમાં કાર્યકર્તાઓએ હિન્દુ સમાજને જોડવા માટે કામ કરે છે. એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવા માટેનું કામ કર્યું છે તે અભિનંદનને પાત્ર છે. ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમનું આયોજન કર્યું રાજ્ય સરકારના મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, સનાતન ધર્મને અને ભારત વર્ષને ગૌરવ થાય એવી કામગીરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કરી છે. 4 દિવસની વ્યાખ્યાનમાળા અને પ્રદર્શની તેમજ મલ્ટીમીડિયા શો રાખવામાં આવ્યો છે. જેમાં પૂજનીય હેડગેવારથી લઈ મોહન ભાગવતજી સુધીની આખી જીવની અને તેમના જીવન ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆત અને તેનો ઉદ્દેશ દર્શાવવામાં આવ્યો છે. જેથી તે પરંપરા અને પ્રતિષ્ઠાને આગળ વધારવા માટે ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં હાજર રહેવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:33 pm

ગાંધીનગરમાં 20 હજાર પરિવારોના પોતાના ઘરનું સપનું થશે સાકાર:લાભાર્થીઓને 4 લાખ સુધીની DBT સહાય મળશે, મનપાએ PM આવાસ યોજના 2.0નો અમલ શરૂ કર્યો

ગાંધીનગર મહાનગરપાલિકા (GMC)એ કેન્દ્ર સરકારના 'હાઉસિંગ ફોર ઓલ'ના મહત્ત્વકાંક્ષી મિશનને ગાંધીનગર શહેરમાં સાકાર કરવા માટે એક મોટી જાહેરાત કરી છે. કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાએ 'PM આવાસ યોજના (શહેરી) 2.0'નો અમલ શરૂ કર્યો છે. આ યોજના તા. 1 સપ્ટેમ્બર 2024થી લાગુ કરવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ આગામી વર્ષમાં 20,000 આર્થિક રીતે નબળા (EWS) અને મધ્યમ આવક (MIG) ધરાવતા પરિવારોને વિવિધ સહાય દ્વારા પોતાનું પાકું અને માળખાગત સુવિધાઓવાળું આવાસ પૂરું પાડવાનો છે. 20,000 પરિવારોનું ઘરનું સપનું સાકાર થશેગાંધીનગર મહાનગરપાલિકાએ કેન્દ્ર સરકારના 'હાઉસિંગ ફોર ઓલ'ના મહત્ત્વકાંક્ષી મિશનને ગાંધીનગર શહેરમાં સાકાર કરવા માટે એક મોટી જાહેરાત કરી છે. જેના પગલે ગાંધીનગરના 20,000 પરિવારોનું ઘરનું સપનું સાકાર થવાનું છે. મહાનગરપાલિકાએ 'પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0' (PMAY-U 2.0)નો અમલ શરૂ કર્યો છે. વ્યાજબી કિંમતે પાયાની સુવિધાઓ સાથેનું આવાસ મળશેઆ યોજના હેઠળ ગાંધીનગર મનપાએ શહેરી વિસ્તારમાં વસતા ઓછી અને મધ્યમ આવક ધરાવતા પરિવારોને વ્યાજબી કિંમતે પાયાની સુવિધાઓ સાથેનું પાકું આવાસ ઉપલબ્ધ કરાવવા માટે તેના ત્રણ મુખ્ય ઘટકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સૌથી મહત્ત્વનો ઘટક છે 'બેનિફિશિયરી લેન્ડ કન્સ્ટ્રક્શન (BLC)', જેનો હેતુ લાભાર્થીઓને તેમના પોતાના બાંધકામ માટે સીધી આર્થિક મદદ પૂરી પાડવાનો છે. DBT થી પરિવારોને 4 લાખની સહાય મળશેઆ ઘટક હેઠળ શહેરી વિસ્તારોમાં પોતાની માલિકીની જમીન અથવા કાચું કે અધૂરું મકાન ધરાવતા અને જેમની વાર્ષિક આવક 3 લાખ સુધી છે તેવા પરિવારોને પાકું આવાસ બનાવવા માટે રૂપિયા 4 લાખની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) માધ્યમથી સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આનાથી લાભાર્થીઓ ગુણવત્તાસભર બાંધકામ ઝડપથી કરાવી શકશે. પરિવારની વ્યાખ્યામાં પતિ, પત્ની અને અપરણિત બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા અન્ય બે ઘટકો પણ સક્રિય રીતે અમલમાં મૂકવામાં આવ્યા છે. જેમાં પ્રથમ છે 'અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ (AHP). જેના હેઠળ વાર્ષિક 3 લાખ સુધીની આવક ધરાવતા ઘર વિહોણા પરિવારો માટે મહાનગરપાલિકા દ્વારા આવાસોનું બાંધકામ કરીને તેમને પોષાય તેવા દરે ફાળવણી કરવામાં આવશે. આ ઘટક મોટાપાયે હાઉસિંગ પ્રોજેક્ટ્સ દ્વારા આવાસની અછતને દૂર કરવામાં મદદરૂપ થશે. લાભાર્થીઓને મહત્તમ 1.80 લાખ સુધીની વ્યાજ સહાયએજ રીતે ત્રીજો અને કેન્દ્રીય ક્ષેત્રીય ઘટક છે. ઈન્ટરેસ્ટ સબસિડી સ્કીમ (ISS). આ યોજના EWS, LIG અને MIG કેટેગરીના પરિવારોને તેમનું પ્રથમ આવાસ ખરીદવા માટે લીધેલી હોમ લોન પર વ્યાજમાં રાહત પૂરી પાડે છે. આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને મહત્તમ 1.80 લાખ સુધીની વ્યાજ સહાય આપવામાં આવશે. જેનાથી આવાસ ખરીદવું વધુ આર્થિક રીતે પોસાય તેમ બનશે. લાભાર્થીઓ મનપા કચેરીએ રજીસ્ટ્રેશન કરાવી શકે છેગાંધીનગર મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે, આ ત્રણેય યોજનાઓ મારફતે ગુણવત્તાસભર આવાસ સુનિશ્ચિત કરવા અને વ્યાજબી કિંમતે પાકી સુવિધાઓ આપવા તેઓ પ્રતિબદ્ધ છે. યોજનાનો લાભ લેવા ઇચ્છુક પાત્ર લાભાર્થીઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. લાભાર્થીઓ મહાનગરપાલિકાની કચેરીની મુલાકાત લઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે અથવા સત્તાવાર લિંક દ્વારા પોતાની જાતે પણ સરળતાથી અરજી કરી શકે છે. આ પહેલ ગાંધીનગર શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના 'ઘરનું ઘર' મેળવવાના સ્વપ્નને પૂર્ણ કરશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:24 pm

NCP પ્રદેશ કાર્યાલય પર ITનું સર્ચ યથાવત:સવારે 5 વાગ્યાથી ચાલી રહી છે તપાસ, બેંક એકાઉન્ટ-ડિજિટલ પુરાવાની ચકાસણી શરુ કરી

નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રદેશ કાર્યાલય પર આયોગી કર (IT) વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત છે. સવારે 5 વાગ્યાથી શરૂ થયેલી આ તપાસમાં ITની ટીમના 10 જેટલા અધિકારીઓ અને પોલીસ ટીમ હાજર છે, જે તમામ દસ્તાવેજો, ડિજિટલ પુરાવા અને બેંક એકાઉન્ટ વિગતોની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. આ કાર્યવાહી ગેરકાયદેસર પૈસાની લેવડદેવડ, ચૂંટણી ખર્ચ અને બોગસ ડોનેશનના આરોપોને લઈને ચાલી રહી છે, જેમાં NCPના નેતાઓ અને કોર્પોરેટરોના ઘરો પર પણ રેડ પડી છે. ચૂંટણી ખર્ચના રેકોર્ડ અને ડોનેશનના દસ્તાવેજોની તપાસ IT વિભાગના સૂત્રો મુજબ આ રેડ 50થી વધુ સ્થળો પર ચાલી રહ્યા છે, જેમાં પુણે, મુંબઈ અને અન્ય શહેરોના NCP કાર્યાલયો અને નેતાઓના ઘરોનો સમાવેશ થાય છે. પુણેમાં NCPના શહેર એકમના પ્રમુખ ડીપક મંકર અને અન્ય કોર્પોરેટરોના ઘરો પર પણ તપાસ ચાલી રહી છે, જ્યાં ચૂંટણી ખર્ચના રેકોર્ડ અને ડોનેશનના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં બેંક એકાઉન્ટની વિગતો, ડિજિટલ રેકોર્ડ અને બોગસ ટ્રાન્ઝેક્શનના પુરાવા જપ્ત કરાયા છે. NCPના કોર્પોરેટર અને અન્ય નેતાઓના ઘરો પર પણ તપાસ NCPના નેતાઓએ આ કાર્યવાહીને રાજકીય બદલાવ ગણાવીને વિરોધ વ્યક્ત કર્યો છે, પરંતુ IT વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, આ તપાસ ગેરકાયદેસર પૈસાની લેવડદેવડ અને ચૂંટણી કાયદાના ઉલ્લંઘન પર આધારિત છે. આ રેડ્સમાં NCPના કોર્પોરેટર બાબુરાવ ચંદેર અને અન્ય નેતાઓના ઘરો પર પણ તપાસ ચાલી રહી છે. આ કાર્યવાહીથી NCPમાં ઉથલપાથલ વધી ગઈ છે અને પાર્ટી નેતાઓએ કહ્યું છે કે, આ રાજકીય દબાણ છે. IT વિભાગે જણાવ્યું કે, તપાસ પારદર્શક અને કાયદા અનુસાર ચાલી રહી છે અને વધુ પુરાવા મળવા પર કાર્યવાહી વધુ કડક થશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:22 pm

ભરૂચમાં મતદારયાદી શુદ્ધિકરણ કાર્યક્રમ શરૂ:કલેક્ટરે નાગરિકોને સહભાગી થવા અપીલ કરી

ભરૂચ જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ–2026 અંતર્ગત મતદારયાદી શુદ્ધિકરણની કામગીરી તબક્કાવાર ચાલી રહી છે. હાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ ઘરઘર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વેમાં મતદારોના નામ, સરનામા અને અન્ય વિગતોનું પ્રમાણિકરણ કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે, જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ નાગરિકોને અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે નાગરિકોએ આ ચાલુ સુધારણા પ્રક્રિયામાં સક્રિયપણે સહભાગી બની પોતાના મતદારહકને સુનિશ્ચિત કરવો જોઈએ. કલેક્ટર મકવાણાએ વધુમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં જિલ્લાના તમામ મતદાન મથકો પર ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવશે. આ કેમ્પોમાં નવી મતદાર નોંધણી, મતદારયાદીમાં સુધારણા, નામ કમી કરવા અથવા સ્થાનાંતરણ જેવી વિવિધ સેવાઓ ઉપલબ્ધ રહેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, દરેક લાયક નાગરિક માટે મતદારયાદીમાં નામ હોવું એ લોકશાહીનો આધારસ્તંભ છે. આથી, તમામે સમયસર પોતાની વિગતો ચકાસીને આ સુધારણા અભિયાનનો લાભ લેવો અત્યંત જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:14 pm

પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આણંદની મુલાકાતે:કમલમથી અક્ષરફાર્મ સુધી ભવ્ય બાઈક રેલી, અક્ષરફાર્મ ખાતે અભિવાદન સમારોહ યોજાયો

ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજરોજ આણંદની મુલાકાતે આવ્યાં છે. જગદીશ વિશ્વકર્માએ સૌપ્રથમ વલાસણ સ્થિત મેલડી માતા મંદિરમાં અને ત્યારબાદ આણંદ શહેરમાં આવેલા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર તેમજ અંબાજી માતાના મંદિરમાં દર્શન કરી, આશીર્વાદ મેળવ્યાં હતાં. જે બાદ તેઓ નાવલી સ્થિત ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે પહોંચ્યાં હતાં. જ્યાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ભાજપના હોદ્દેદારો તેમજ આગેવાનો સાથે બેઠક યોજી હતી. જે બાદ ભાજપ કાર્યાલય 'કમલમ' થી ભવ્ય બાઈક રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયાં હતાં. આ બાઈક રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરીને અક્ષરફાર્મ ખાતે પહોંચી હતી. અક્ષરફાર્મ ખાતે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ અભિવાદન સમારોહમાં આણંદના સાંસદ મિતેષ પટેલ, કેબિનેટ મંત્રી રમણ સોલંકી, રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલ, સંજયસિંહ મહિડા, ધારાસભ્યો, સંતો-મહંતો ઉપરાંત આણંદ સહિત સમગ્ર જિલ્લામાંથી ભાજપના હોદ્દેદારો, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. સામાન્ય રીતે કોઈપણ મહેમાનનું બુકે અથવા તો પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવે છે. પરંતુ, જગદીશ વિશ્વકર્માએ બુકે ને બદલે બુક આપી સ્વાગત આપવાનો સંકલ્પ શરૂ કર્યો છે. જે અંતર્ગત આજરોજ આણંદ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા 75 હજાર જેટલા ફુલસ્કેપ ચોપડા આપી, જગદીશ વિશ્વકર્માનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ચોપડા આણંદ જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં વિતરણ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 7:01 pm

ઓપરેશન કિચન અંતર્ગત ફૂડ વિભાગની ચકાસણી:પાણીપુરી સહિતની લારીમાંથી મળેલી અખાદ્ય ચટણી અને બટાકાનો સ્થળ પર જ નાશ, આંબલિયાસણ સ્ટેશનમાં નાસ્તા હાઉસમાં ઓચિંતી તપાસ

મહેસાણા જિલ્લામાં ફૂડ વિભાગ દ્વારા ઓપરેશન કિચન અંતર્ગત ફૂડની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે આજે આંબલિયાસણ સ્ટેશનમાં પણ ખાણીપીણીની દુકાનો અને પાણીપુરીની લારી પર તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં તપાસ દરમિયાન ચટણી અને બટાકાના જથ્થાનો સ્થળ નાશ કરવામાં આવ્યો હતો. ચટણી અને બટાકાના જથ્થાનો સ્થળ પર નાશ કરાયો આંબલિયાસણ સ્ટેશનમાં ગુરુવારના રોજ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણાના ફૂડ વિભાગ દ્વારા ઓપરેશન કિચન ક્લીન અંતર્ગત FSW વાનના કેમિસ્ટ સુખીબેન દ્વારા નાસ્તા હાઉસ, પાણીપુરીની લારીઓ, સ્વીટ માર્ટ, ફરસાણની દુકાન સહિત 21 પેઢી દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન જયદીપ નાસ્તા હાઉસમાંથી 3 કિલો લાલ ચટણી, જય અંબે પાણીપુરીમાંથી 5 લિટર લાલ ચટણી, બોમ્બે ચોળાફળી સેન્ટરમાંથી પાંચ કિલો બટાકા, શિવ શંકર પકોડી સેન્ટરમાંથી 3 કિલો બટાકાનો જથ્થો અયોગ્ય જણાઈ આવતા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:56 pm

વિધાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા:વડોદરાની સયાજી હોસ્પિટલમાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફીજીયોથેરાપિસ્ટ ડૉ અલી ઈરાનીની મુલાકાત

વડોદરાની સયાજી હોસ્પિટલમાં મેડિકલ કોલેજના ફિઝિયોથેરાપી વિભાગમાં ભૂતપૂર્વ વિધાર્થી અને ભારતીય ટીમના ભૂતપૂર્વ ફિઝિયોથેરાપિસ્ટ ડો અલી ઈરાનીએ મુલાકાત લીધી હતી. તેઓએ અભ્યાસ કરતા વિધાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વડોદરાની સયાજી હોસ્પિટલના મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફિઝિયોથેરાપિસ્ટ અને વડોદરા સયાજી હોસ્પિટલમાં આવેલ મેડિકલ કોલેજના ફિઝિયોથેરાપી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડોક્ટર અલી ઈરાની દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. તેઓએ મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે બ્રેઇન મેપિંગ ઇન ફિઝિયોથેરાપી વિષય પર વક્તવ્ય આપ્યું હતું અને હાલમાં ફિઝિયોથેર આપી નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા. ડોક્ટર અલી ઈરાની અગાઉ ઇન્ડિયન ક્રિકેટ ટીમના ફિઝિયોથેરાપીસ્ટ તરીકે સેવા આપેલી છે અને હાલમાં તેઓ નાણાવટી હોસ્પિટલ મુંબઈ ખાતે ફિઝિયોથેરાપી વિભાગના વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ વડોદરાની ફિઝીયોથેરાપી કોલેજમાં વર્ષ 1980 ની બેચના વિદ્યાર્થી રહ્યા છે. તેઓએ આજે મેડિકલ કોલેજના વડા અને સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રંજન ઐયર સાથે પણ મુલાકાત લીધી હતી. અને જૂની યાદોને વાગોળી હતી.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:55 pm

પાનની દુકાન પાસે મીની ગેસ સિલિન્ડર ફાટ્યું:રાજકોટનાં કાલાવડ રોડ પર જડૂસ ચોક પાસે બનેલી દુર્ઘટનામાં ત્રણ ઘાયલ, ગેરકાયદેસર વેચાણની આશંકા

રાજકોટનાં કાલાવડ રોડ પર જડુસ ચોક નજીક આવેલી પાનની દુકાન પાસે આજે મીની ગેસ સિલિન્ડર ફાટવાની ઘટનામાં વૃદ્ધ દંપતી સહિત 3 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. આ બનાવમાં ખુદ દુકાનદાર પણ ઘાયલ થયો છે. જેમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધ દંપતીને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે, જ્યારે દુકાનદારની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે, દુકાન પર ગેરકાયદેસર રીતે નાના ગેસ સિલિન્ડરનું વેચાણ થતું હતું, જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને દેશી દારૂની પોટલીઓ અને 2 બિયરના ટીન પણ મળી આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગેસ સિલિન્ડરનો ચૂલો અચાનક ધડાકાભેર ફાટ્યો હતોપ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી જડુસ હોટલ સામેના વિસ્તારમાં એક પાનની દુકાન પર આજે સવારે આશરે 10 વાગ્યાની આસપાસ એક મોટો અકસ્માત થયો હતો. દુકાનની બહાર રાખેલો મીની ગેસ સિલિન્ડરનો ચૂલો અચાનક ધડાકાભેર ફાટ્યો હતો, જેના કારણે 3 લોકોને ઈજા થઈ હતી આ ભયાનક બનાવમાં ઘવાયેલા લોકોમાં દુકાનદાર રવિ અશોકભાઈ ગમારા તેમજ ત્યાંથી એક્ટિવા ઉપર પસાર થઈ રહેલા રાજેન્દ્રભાઈ કાંતિલાલ તકવાણી અને તેમના પત્ની શ્રદ્ધાબેનનો સમાવેશ થાય છે. બ્લાસ્ટ થતા સિલિન્ડરના ટુકડા ઉડવાથી એક્ટિવા પરથી પછડાયાઆ ઘટના બાદ ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, વૃદ્ધ દંપતી રાજેન્દ્રભાઈ અને શ્રદ્ધાબેનને વધુ સારી સારવાર માટે સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. રાજેન્દ્રભાઈના પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેઓ નિત્યક્રમ મુજબ હવેલીએ ઠાકોરજીના દર્શન કરીને પરત આવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. બ્લાસ્ટ થતા સિલિન્ડરના ટુકડા ઉડવાથી તેઓ એક્ટિવા પરથી ફસડાઈ પડ્યા હતા અને તેમને મોઢાના ભાગે ઈજા થઈ હતી. દુકાનદારે દુકાન બહાર ટેબલ પર ગેસ સિલિન્ડર ચૂલો રાખ્યો હતોબીજી તરફ, દુકાનદાર રવિની સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલુ છે. તેને છાતીમાં અને કમરના ભાગે ગેસના બાટલાના ટુકડા વાગ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ત્રણેય ઇજાગ્રસ્તોનું નિવેદન નોંધવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસ ઉપરાંત નજરે જોનારા લોકોના કહેવા મુજબ, બનાવ સવારે આશરે 10 વાગ્યા આસપાસ જડુસ હોટલથી ભીમરાવ સર્કલ વચ્ચે થયો હતો. દુકાનદાર દ્વારા દુકાન બહાર આગળના ભાગે ટેબલ પર આશરે 5 કિલો વજનનો ગેસ સિલિન્ડર ચૂલો રાખવામાં આવ્યો હતો. આ આગની ઝપેટમાં રસ્તા પરથી પસાર થતું વૃદ્ધ દંપતી પણ આવી ગયું હતુંઆ મીની સિલિન્ડરમાં અચાનક લીકેજ થતાં આગ લાગી હતી. સિલિન્ડરમાં ભડકો થવા લાગતા દુકાનદાર સહિત કેટલાક લોકોએ આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આગ પર કાબૂ નહીં મેળવી શકાતા અને દુકાનદાર પ્રયત્ન કરી રહ્યો હતો, તે જ સમયે અચાનક આ મીની સિલિન્ડર મોટા ધડાકા સાથે ફાટ્યો હતો. આ ધડાકો એટલો જોરદાર હતો કે તેના ટુકડા આસપાસ ઉડ્યા હતા, જેની ઝપેટમાં રસ્તા પરથી પસાર થઈ રહેલું વૃદ્ધ દંપતી આવી ગયું હતું. ગેરકાયદેસર વેચાણની ચર્ચા, દુકાનમાંથી દારૂ પણ મળ્યોઆ બનાવ અંગે એક ચોંકાવનારી વિગત એ છે કે, આ વિસ્તારમાં આ પાનની દુકાન પર 4 લીટરવાળા ગેસના ચૂલા સહિતના ગેસ સિલિન્ડર ગેરકાયદેસર વેચવામાં આવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ગેસ સિલિન્ડર બ્લાસ્ટની માહિતી મળતા જ રાજકોટ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર અને દુકાનમાં તપાસ હાથ ધરતા દુકાનમાંથી દેશી દારૂની 2 પોટલીઓ પણ મળી આવી હતી. ગેરકાયદેસર ગેસ સિલિન્ડરનું વેચાણ થતું હતું કે નહીં, તે અંગે પોલીસે જાણવા જોગ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે દેશી દારૂ અંગે અલગથી ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવશે. દુકાનદારના નિવેદનના તથ્યોને ચકાસવા માટે પોલીસે સઘન તપાસ હાથ ધરીદુકાનદાર રવિ અને તેના પરિવારજનોએ પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, તેઓ સિલિન્ડર વેચતા નથી. તેમને પાનની દુકાન છે અને અગાઉ ચાનો થડો પણ રાખ્યો હતો, જે હવે બંધ કરી દીધો છે. આજે રવિ પોતાના માટે ચા બનાવવા ગયો ત્યારે ગેસ ચાલુ કરતા લીકેજ થવાથી આગ લાગી અને પછી બ્લાસ્ટ થયો હતો. સૂત્રોમાંથી જાણવા મળેલી માહિતી અને દુકાનદારના નિવેદનના તથ્યોને ચકાસવા માટે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. ત્યારે આ ગેરકાયદે પ્રવૃત્તિ અંગેની તપાસ પૂર્ણ થયા બાદ જ સાચી હકીકત જાણી શકાશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:44 pm

નિવૃત નાયબ સચિવના મહાઠગ પુત્ર-પુત્રવધુનું વધુ એક કારસ્તાન:ગુજરાત વોડાફોનના પૂર્વ હેડને પણ સરકારી ટેન્ડરના સપના બતાવી 72.91 લાખનો ચૂનો લગાવ્યો, ઠગાઈનો આંકડો 41 કરોડને પાર

ગાંધીનગર ઈન્ફોસિટી વિસ્તારમાં ઓફિસ ધરાવતા ઠગ દંપતીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના 'નકલી ટેન્ડર'ના દસ્તાવેજો બનાવી શહેરના વેપારીઓ પાસે રોકાણ કરાવી મોટાપાયે છેતરપિંડી આચર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. અત્યાર સુધીમાં નિવૃત નાયબ સચિવના પુત્ર-પુત્રવધૂએ વેપારીઓને ગુજરાત ટુરિઝમ અને સુરત મહાનગરપાલિકાના વિવિધ ટેન્ડરો લાગ્યા હોવાનો કારસો રચી કરોડોનું કરી નાખવામાં આવ્યું છે. આ મહાઠગ દંપતીએ ગુજરાત વોડાફોનના પૂર્વ હેડને પણ લોભામણી સ્કીમો આપીને 72.91 લાખથી વધુની ઠગાઈ આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાતા ઠગાઈનો આંકડો 41 કરોડ સુધી પહોંચ્યો છે. ધોરણ-12ના ટ્યુશન ક્લાસ સમયથી મિત્ર હતાગાંધીનગરના સેક્ટર-6બીમાં રહેતા અને ગુજરાત રાજ્ય ખાતે વોડાફોન તથા આઇડિયા કંપનીના પૂર્વ હેડ રહી ચૂકેલા મુનીર રજાકભાઈ પઢીયાર અને નિરવ દવે વર્ષ 1994માં ધોરણ-12ના ટ્યુશન ક્લાસ સમયથી મિત્ર હોવાથી પારિવારિક સંબંધો પણ હતા. જ્યારે મુનીરભાઈ વોડાફોન-આઇડિયાના હેડ હતા ત્યારે નિરવ દવે એરટેલ ટેલિકોમ કંપનીનો ડિસ્ટ્રીબ્યુટર હતો. જેથી, તેમનો વ્યવહાર વધુ ગાઢ બન્યો હતો. ​નિરવ દવેએ ગાંધીનગરના ઇન્ફોસિટી અને કુડાસણ (શ્રીધર ઓરમ) ખાતે 'ઓમ એન્ટરપ્રાઇઝ' નામની બે ઓફિસો ચાલુ કરી હતી, જ્યાં નિરવ અને તેની પત્ની મીરા બંને બેસતા હતા. 2015થી મે-2024 સુધીનો હિસાબ કરતા 72.91 લાખ આપવાના નીકળતા હતા​​મુનીર પઢીયાર અને નિરવ દવે વચ્ચે વર્ષ 2015થી નાણાંકીય વ્યવહારો ચાલુ હતા. મે-2024માં નિરવ અને મીરા દવેએ મુનીરભાઈને કુડાસણની ઓફિસે બોલાવીને જણાવ્યું હતું કે, તેમની કંપનીને સરકારના અલગ-અલગ મોટા ટેન્ડરો પાસ થયા છે અને તેમાં રોકાણની જરૂર છે. ​તે સમયે 2015થી મે-2024 સુધીના બેંક એકાઉન્ટના વ્યવહારોનો હિસાબ કરતાં નિરવ દવે અને મીરા દવેએ મુનીર પઢીયારને રૂ. 72.91 લાખ આપવાના નીકળતા હતા ત્યારે ​ઠગ દંપતીએ મુનીરભાઈને જણાવ્યું હતું કે, તેઓ આ બાકી રકમને જ પાસ થયેલા ટેન્ડરોમાં રોકાણ કરશે અને ડિસેમ્બર-2024માં સારા વળતર સાથે પૈસા પરત આપી દેશે. અન્ય વેપારીઓ પાસેથી પણ આ જ રીતે ખોટા ટેન્ડરો બતાવીને કરોડો રૂપિયા લીધાઆથી, બાળપણની ​મિત્રતા અને જૂના સંબંધોના વિશ્વાસ પર મુનીર પઢીયારે આ રકમ રોકાણ માટે સંમતી આપી હતી. જોકે, ​ડિસેમ્બર-2024 બાદ જ્યારે મુનીર પઢીયારે પોતાના પૈસા અને વળતરની માંગણી કરી ત્યારે નિરવ અને મીરા દવેએ હજુ પૈસા આવ્યા નથી, આવશે ત્યારે આપી દઈશું તેમ કહી વાયદાઓ કર્યા હતા. ​આ દરમિયાન મુનીરભાઈને તેમના ઓળખીતા ભાવિકકુમાર પટેલ પાસેથી જાણવા મળ્યું કે, નિરવ દવે અને મીરા દવેએ અન્ય વેપારીઓ પાસેથી પણ આ જ રીતે ખોટા ટેન્ડરો બતાવીને કરોડો રૂપિયા લીધા છે અને હકીકતમાં કોઈ ટેન્ડર પાસ થયા નથી. અન્ય લોકોએ પણ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના પગલે મુનીરભાઈએ પણ રૂ.71.91 લાખની ઠગાઈ નોંધાવી છે. ઠગાઇનો આંકડો 41 કરોડ સુધી પહોંચ્યોઆ અગાઉ ઠગ દંપતીએ વડનગર, પાટણ, દ્વારકા, સુરત અને અમરેલીમાં ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નામના સરકારી ટેન્ડર બતાવી કુલ 22 કરોડથી વધુનું ફુલેકું ફેરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. જે પછી બીજા વેપારીઓ સાથે પણ ઠગાઈ થયાનું સામે આવતા વેપારી આલમમાં ઠગાઇનો આંકડો 40 કરોડ સુધી પહોંચી ચૂક્યો હતો. એવામાં ગુજરાત વોડાફોનના પૂર્વ હેડ મુનીર પઢિયાર ઉપરાંત અમદાવાદના એક વેપારી સાથે પણ આશરે 54 લાખની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. આમ ઠગાઈનો આંકડો 41 કરોડ સુધી પહોંચ્યો છે. આ અંગે ઇન્ફોસિટી પીઆઇ વી. આર. ખેરે જણાવ્યું કે, પ્રથમ ગુનો દાખલ થયો એ વખતે દંપતીએ આગોતરા જામીન મૂકી હતી. જે રિજેક્ટ થઈ છે. એટલે દંપતીએ ફરી આગોતરા મૂકી છે. જેનું આવતીકાલે હાઈકોર્ટમાં હેરિંગ છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:41 pm

રાજકોટમાં 16થી 19 નવેમ્બર એકતા યાત્રા:સરદાર પટેલની 150મી જન્મ જયંતીની વિધાનસભાવાઇસ ઉજવણી, લોખંડી પુરુષના જીવન-કવનની ઝાંખી થશે

રાજ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 16થી 22 નવેમ્બર દરમિયાન એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લામાં 16થી 19 નવેમ્બર દરમિયાન એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લાની 8 વિધાનસભા દીઠ પદયાત્રા કરવામાં આવશે. જેમાં શિબિરો, સ્પર્ધાઓ, શપથ ગ્રહણ અને સફાઈ સહિતના કાર્યક્રમો યોજાશે. 16મીએ જિલ્લા કક્ષાની ઉજવણી રાજકોટ શહેરમાં થશે. જેમાં બહુમાળી ભવન ચોકથી પદયાત્રા નીકળવાની છે જેમાં 5000થી વધુ લોકો જોડાશે. જિલ્લા કક્ષાની ઉજવણી રાજકોટ પશ્ચિમ વિસ્તારમાં થશેરાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટની જિલ્લા કક્ષાની ઉજવણી રાજકોટ પશ્ચિમ વિસ્તારમાં થશે. જેમાં સવારે 10 વાગ્યે યાત્રા બહુમાળી ભવન ચોકથી શરૂ થઈ અલગ-અલગ વિસ્તારોમાં ફરી બહુમાળી ભવન ચોક ખાતે પૂર્ણ થશે. આ જ રીતે રાજકોટ પૂર્વ, ગ્રામ્ય, ધોરાજી, ઉપલેટા, જસદણ, ગોંડલ અને જેતપુરમાં આ યાત્રા નીકળશે. 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ 562 વૃક્ષો વાવવામાં આવશેરાજકોટ શહેર તથા જિલ્લામાં‌ 10 કિલોમીટરની પદયાત્રા યોજાશે. જેમાં યંગ લીડર્સ સ્પર્ધા, ક્વિઝ-નિબંધ-વકતૃત્વ-પોસ્ટર સ્પર્ધા, NSSના વાર્ષિક કેમ્પ, શહેર તથા ગ્રામ્ય વિસ્તારોની જાહેર પ્રતિમાઓની સફાઈ, જળ સ્ત્રોતોની સફાઈ, નશામૂક્તિ તથા યોગ શિબિર, શેરી નાટક, એકતા અંગેના શપથ વગેરે કાર્યક્રમો યોજાશે. 'સરદાર સ્મૃતિવન'ની સ્થાપના કરવાની સાથે 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ 562 વૃક્ષો વાવવામાં આવશે. પદયાત્રા અંગેના રૂટ પણ બેઠકમાં નક્કી કરાયા હતાઆઠ વિધાનસભા બેઠકોના વિસ્તારમાં યોજાનારી પદયાત્રા અંગેના રૂટ પણ આ બેઠકમાં નિયત કરાયા હતા. રાજકોટ શહેર તથા જિલ્લામાં યોજાનારી પદયાત્રામાં મહત્તમ લોકો સહભાગી બને તે માટે જિલ્લાના પદાધિકારીઓ સાથે સંકલનમાં રહી કામગીરી કરવા કલેક્ટર ઓમ પ્રકાશે સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:36 pm

આમ આદમી પાર્ટી વધુ 5 ખેડૂત મહાપંચાયત યોજશે:16 ડિસેમ્બરે AAPના પ્રદેશના નેતાઓ મુખ્યમંત્રી પાસે જશે, ખેડૂતોનું માંગ પત્ર આપી હેક્ટર દીઠ 50 હજાર વળતર ચૂકવવા માંગ કરશે

ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્ને આમ આદમી પાર્ટીએ લડી લેવાની જાહેરાત કરી છે. આગામી સમયમાં રાજ્યમાં વધુ 5 ખેડૂત મહાપંચાયત યોજવાની જાહેરાત કરવામાં આવી છે. 23 નવેમ્બરથી 14 ડિસેમ્બર વચ્ચે મહાપંયાયત યોજાશેઆમ આદમી પાર્ટીએ વધુ 5 ખેડૂત મહાપંચાયત યોજવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી 23 નવેમ્બરે વ્યારા બારડોલી લોકસભા ખાતે, 29 નવેમ્બરે આણંદ ખાતે, 30 નવેમ્બરે બનાસકાંઠા ખાતે, 7 ડિસેમ્બરે અમરેલી ખાતે, 14 ડિસેમ્બરે કચ્છ ખાતે ખેડૂત મહાપંચાયત યોજાશે. 16 ડિસેમ્બરે ખેડૂતોનું માંગ પત્ર રજૂ કરશે16 ડિસેમ્બરે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ ખેડૂતોનું માંગ પત્ર રજૂ કરશે. પંજાબમાં AAP સરકારે ખેડૂતોને પ્રતિ હેક્ટર 50 હજારનું વળતર ચૂકવ્યું છે તો એટલું જ વળતર ગુજરાત સરકાર પણ ખેડૂતોને ચૂકવે તેવી મુખ્યમંત્રી પાસે માંગ કરશે.આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા કરન બારોટે જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસની મિલીભગતમાં કારણે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો કડદાનો ભોગ બની રહ્યા હતા. ખેડુતોના તમામ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓએ આંદોલન કર્યું તો તેમણે જેલમાં મોકલી દીધા છે. આજે ખેડૂતો મજબૂત થઈને બહાર આવી રહ્યા છે. સરકારે જે પેકેજ જાહેર કર્યું તે ખેડૂતો માટે લોલીપોપ સમાન છે. ભાજપ યોગ્ય વળતર નહીં આપી શકે તે દુઃખમાં અને પરિવારની ચિંતામાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. જો આમ આદમી પાર્ટીની તમામ માંગ સરકાર નહીં સ્વીકારે 16 ડિસેમ્બરે મુખ્યમંત્રી પાસે જઈને માંગ પત્રક રજૂ કરશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:28 pm

દક્ષિણ ગુજરાત વીજ કંપનીને રાષ્ટ્રીય સ્તરના એવોર્ડ્સથી સન્માનિત:ICCના પ્રતિષ્ઠિત 'ઇનોવેશન વિથ ઇમ્પેક્ટ એવોર્ડ્સ'માં ચાર રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કર્યા

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી ખાતે ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત 13મા 'ઇનોવેશન વિથ ઇમ્પેક્ટ એવોર્ડ્સ' સમારંભમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ - DGVCLને એકસાથે ચાર પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરના પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી છે. દેશભરની ખાનગી તેમજ સરકારી વીજ વિતરણ કંપનીઓ વચ્ચેની સખત સ્પર્ધામાં DGVCL દ્વારા આ રાષ્ટ્રીય સ્તરનું સન્માન મેળવવું હતું. આ પુરસ્કારો DGVCLની કાર્યક્ષમતા, ગ્રાહકલક્ષી સેવાઓ અને સંચાલનમાં અપનાવવામાં આવેલી નવીનતમ પદ્ધતિઓની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. કંપનીએ ખાસ કરીને 'ક્વોલિટી ઓફ સર્વિસિસ એન્ડ કસ્ટમર એમ્પાવરમેન્ટ' કેટેગરીમાં ચેમ્પિયન એવોર્ડ સહિત બે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને પ્રદર્શન કર્યું છે. DGVCL દ્વારા પ્રાપ્ત થયેલા ચાર રાષ્ટ્રીય પુરસ્કારોની વિગતઇનોવેશન વિથ ઇમ્પેક્ટ – જનરલ: પ્રથમ ક્રમઆ પુરસ્કાર DGVCL દ્વારા અપનાવવામાં આવેલી આધુનિક ટેક્નોલોજી અને કાર્યપદ્ધતિઓમાં નવતર અભિગમને માન્યતા આપે છે. આ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવવું એ દર્શાવે છે કે, કંપનીએ વીજ વિતરણના પડકારોનો સામનો કરવા માટે કેવી રીતે નવીનતાનો ઉપયોગ કર્યો છે. સ્માર્ટ ગ્રીડ ટેક્નોલોજીનો અમલ, ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને ફોલ્ટ રિડક્શન, અને વીજળીની ચોરી અટકાવવા માટેના ડિજિટલ પગલાં જેવા ક્ષેત્રોમાં DGVCLનું યોગદાન નોંધનીય રહ્યું છે. ક્વોલિટી ઓફ સર્વિસિસ એન્ડ કસ્ટમર એમ્પાવરમેન્ટ: પ્રથમ ક્રમઆ સન્માન ગ્રાહકોની સંતુષ્ટિ અને સશક્તિકરણ માટે DGVCL દ્વારા પ્રદાન કરવામાં આવતી ઉચ્ચ ગુણવત્તાવાળી સેવાઓને બિરદાવે છે. ઓનલાઈન બિલ પેમેન્ટ, મોબાઇલ એપ્લિકેશન દ્વારા સેવા વિનંતીઓનું ત્વરિત નિવારણ અને પારદર્શક બિલિંગ પ્રક્રિયાઓ જેવા પગલાં દ્વારા DGVCLએ ગ્રાહકોને માત્ર સેવાઓ જ નહીં પણ તેમના નિર્ણયો લેવાની શક્તિ પણ આપી છે. ક્વોલિટી ઓફ સર્વિસિસ એન્ડ કસ્ટમર એમ્પાવરમેન્ટ: ચેમ્પિયન એવોર્ડ આ કેટેગરીમાં પ્રથમ ક્રમ ઉપરાંત ચેમ્પિયન એવોર્ડ મેળવવો એ વીજ વિતરણ ક્ષેત્રમાં ગ્રાહક સેવા પ્રત્યેની DGVCLની સર્વોચ્ચ પ્રતિબદ્ધતાને સુનિશ્ચિત કરે છે. આ એવોર્ડ ભારપૂર્વક જણાવે છે કે, DGVCL ગ્રાહકલક્ષી સુધારાઓમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી છે, જે અન્ય કંપનીઓ માટે એક માર્ગદર્શક ઉદાહરણ પૂરું પાડે છે. એફિશિયન્ટ ઓપરેશન્સ: તૃતીય ક્રમ​​​​​​​આ પુરસ્કાર કંપનીના સંચાલનની કાર્યક્ષમતા અને ખર્ચ અસરકારકતાને ઓળખે છે. વીજળીના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનમાં થતા નુકસાનને ઘટાડવા, મેન્ટેનન્સ પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા અને ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા માટે DGVCL દ્વારા કરવામાં આવેલા સતત પ્રયાસો આ સન્માન તરફ દોરી ગયા છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કારો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ તરફથી મુખ્ય એન્જિનિયર એમ. જી. સુરતી અને વિશેષ મુખ્ય એન્જિનિયર એન. જી. પટેલ દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા. DGVCLના મેનેજિંગ ડિરેક્ટર યોગેશ ચૌધરીએ કંપનીના લાઇન સ્ટાફથી લઈને ચીફ એન્જિનિયર સુધી તેમજ ફિલ્ડ અને વહીવટી વિભાગોના તમામ કર્મચારીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારપૂર્વક કંપનીના માનવંતા વીજગ્રાહકોનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, “આ રાષ્ટ્રીય પ્રશંસા અમને વધુ ઉત્સાહ અને પ્રેરણા આપે છે કે અમે અમારી કામગીરીમાં સતત શ્રેષ્ઠતા પ્રાપ્ત કરીએ અને ગ્રાહકોને સર્વોત્તમ સેવા પૂરી પાડીએ.” તેમણે ઉમેર્યું હતું કે ગ્રાહકોનો સહકાર અને વિશ્વાસ જ કંપનીને આટલી મોટી સિદ્ધિ હાંસલ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:27 pm

અમરાઈવાડીમાં સ્લમ ક્વાર્ટર્સની ગેલેરીનો ભાગ ધરાશાયી, 3ને ઈજા:15 લોકોનું ફાયર ટીમે સીડી વડે રેસ્ક્યુ કર્યું, વર્ષો જુના જર્જરીત મકાન હતા જેને AMCએ નોટિસ આપી'તી

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગરમાં AMC સ્લમ ક્વાર્ટર્સની ગેલેરીનો ભાગ ધરાશાય થયો હતો. આ ઘટનામાં ત્રણ લોકોને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ ફાયરબ્રિગેડની ટીમને કરવામાં આવતાં બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. 10 થી 15 લોકો ક્વાર્ટર્સમાં ઘરમાં ફસાયેલા હોવાના પગલે ફાયરની ટીમ દ્વારા તેઓને ફાયર વિભાગની સીડી વડે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. વર્ષો જુના જર્જરીત મકાન હતા જેને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી છતાં પણ નાગરિકો તેમાં રહેતા હતાં. ગેલેરીનો સ્લેબ ધરાશાયીમળતી માહિતી મુજબ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં સંત વિનોબાનગર પાસેના સુખરામનગર ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્લમ ક્વાર્ટર્સ આવેલા છે. જેમાં આજે 13 નવેમ્બરના રોજ સાંજના સમયે બ્લોક નંબર 17ની ગેલેરી ધરાશાયી થઈ હતી. ત્રણ ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયાજેમાં નીચે ઉભેલા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતાં સ્થાનિક લોકો દ્વારા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગેલેરીનો ભાગ તૂટી પડવાના કારણે કેટલાક લોકો ઘરમાં ફસાઈ ગયા હતા. ફાયરની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફસાયેલા 10થી 15 લોકોનું સીડી વડે રેસ્ક્યુ કરાયુંબ્લોક નંબર 17ના 8 મકાનના આશરે 10થી 15 લોકો ફસાયેલા હતા જેના કારણે તેઓને રેસ્ક્યુ કરવા માટે ફાયરબ્રિગેડની સીડીઓનો ઉપયોગ કરવો પડ્યો હતો. તમામ લોકોને રેસક્યું કરી બહાર કાઢવા માટેની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા તમામ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ ક્વાર્ટર્સમાં ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હોવા છતાં પણ તેઓ રહેતા હતા.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:23 pm

સુરેન્દ્રનગર ગુરુકુલના વિદ્યાર્થીઓએ ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું:કબડ્ડી સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ચેમ્પિયન બની

સુરેન્દ્રનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ શાળાના વિદ્યાર્થીઓએ ખેલમહાકુંભ 2025માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શાળાની કબડ્ડી ટીમે તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ચેમ્પિયન બની છે. આ પહેલા થોડા દિવસો પૂર્વે આ જ શાળાના વિદ્યાર્થીઓએ ખોખો સ્પર્ધામાં પણ પ્રથમ નંબર મેળવ્યો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહ, શિસ્ત અને સ્પોર્ટ્સમેનશિપનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિજેતા કબડ્ડી ટીમમાં પરમાર મૌલેશ ગોરધનભાઈ, કોળીપટેલ પૃથ્વીભાઈ બાબુભાઈ, કોળી જયપાલ વિપુલભાઈ, ડાંગર ગૌતમ ઈશ્વરભાઈ, ધરજીયા કૌશલભાઈ ભરતભાઈ, સુતરસાંઢિયા દીપ અજીતભાઈ, મકવાણા કિશનજી પ્રધાનજી, વેલાણી પાર્થ ભરતભાઈ, તડવી વિશાલભાઈ કિશનભાઈ અને કઠેકિયા મહાવીર મનોજભાઈનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાએ વિજેતા બની શાળાનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ ગુરુકુલના સંચાલક આનંદપ્રિયસ્વામીજી, આચાર્ય સાવલિયા પિયુષભાઈ અને શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અમારા વિદ્યાર્થીઓએ મહેનત, નિયમિતતા અને ટીમભાવના દ્વારા આ વિજય મેળવ્યો છે. આ સફળતા સમગ્ર શાળા પરિવાર માટે ગૌરવની બાબત છે. આ વિજય સાથે જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ શાળાના વિદ્યાર્થીઓ હવે જિલ્લા કક્ષાની ખેલમહાકુંભ સ્પર્ધાઓ માટે પસંદગી પામ્યા છે. આ સિદ્ધિથી સમગ્ર શાળામાં આનંદ અને ગૌરવનું વાતાવરણ છવાયું છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:19 pm

લીમખેડા હાઇવે પરથી કતલખાને લઈ જવાતી બે ભેંસો બચાવાઈ:પીકઅપમાં ટૂંકા દોરડાંથી ક્રૂરતા પૂર્વક બાંધી દાહોદ લઈ જવાતી હતી, પોલીસે ચાલકને ઝડપી પાડ્યો

લીમખેડા તાલુકાના પાલ્લી ગામે હાઇવે પર કતલખાને લઈ જવાતી બે ભેંસોને બચાવી લેવામાં આવી છે. આશરે રૂ. 60,000ની કિંમતની આ ભેંસોને દેવગઢ બારિયાથી દાહોદ કતલખાને લઈ જવાઈ રહી હતી. પોલીસે પીકઅપ ગાડીના ચાલકની ધરપકડ કરી છે. મોટીવાવ ગામના જશુ ગણાવાને ગઈકાલે સાંજે બાતમી મળી હતી કે, એક પીકઅપ બોલેરો ગાડીમાં બે ભેંસોને ઘાસચારા અને પાણી વગર, ક્રૂરતાપૂર્વક ટૂંકા દોરડાંથી બાંધીને દાહોદ કતલખાને લઈ જવામાં આવી રહી છે. આ બાતમીના આધારે જશુભાઈ સાથે પાલ્લી ગામના કાર્તિકુમાર પર્વતભાઈ ચૌહાણ અને રાજુભાઈ મંગળસિંહ ચૌહાણ હાઇવે પર બ્રિજ નીચે વોચમાં ઊભા રહ્યા હતા. સાંજે લગભગ 4:30 કલાકે દેવગઢબારિયા તરફથી આવતી પીકઅપ બોલેરો ગાડીને રોકવાનો ઇશારો કરાયો હતો. ચાલકે ગાડી રોડની બાજુમાં ઊભી રાખીને ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્રણેય વ્યક્તિઓએ પીછો કરીને તેને પકડી પાડ્યો. ચાલકની ઓળખ રતલામ (મધ્યપ્રદેશ)ના સરસી ગ્રામ પંચાયત, ડોડીયા રોડ પર રહેતા શાહરૂખ મહેમુદ ખાન તરીકે થઈ છે. ગાડીની તપાસ કરતાં તેમાં બે ભેંસોને અત્યંત ક્રૂરતાપૂર્વક, ટૂંકા દોરડાંથી બાંધીને અને ઘાસચારા-પાણીની કોઈ સુવિધા વિના લઈ જવાતી મળી હતી. તરત જ ભેંસોને મુક્ત કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી હતી. આ ભેંસોની કુલ કિંમત આશરે રૂ. 60,000 આંકવામાં આવી છે. પોલીસે ચાલક શાહરૂખ મહેમુદ ખાન વિરુદ્ધ પશુઓ પ્રત્યે ઘાતકી વર્તન અને ગેરકાયદેસર પરિવહન અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 6:03 pm

રેલિંગ કૂદી કાર ફંગોળાઈ:ગાડીમાં સવાર પાંચેય બહાર ફેંકાયા, કાશ્મીરથી આવેલા 5 શંકાસ્પદ ઝડપાયા, અમદાવાદમાં ફૂડ ફેસ્ટિવલ શરૂ

કાશ્મીરથી આવેલા 5 શંકાસ્પદને SOGએ ઝડપ્યા ગત 10 નવેમ્બર, 2025ના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં થયેલા બોમ્બ બ્લાસ્ટને લઈ હાલ ગુજરાત હાઇ એલર્ટ પર છે. સમગ્ર પોલીસ તંત્ર શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ વચ્ચે આજે જૂનાગઢ એસઓજીએ માંગરોળમાંથી બે શંકાસ્પદ કાશ્મીરીઓને ઝડપ્યાં છે. માંગરોળની ખાનગી હોસ્પિટલમાંથી બે શંકાસ્પદ કાશ્મીરીઓને પૂછપરછ માટે જૂનાગઢ SOG ખાતે લાવવામાં આવ્યા છે. આ બંને કાશ્મીરી શખ્સ માંગરોળ શહેર તેમજ આસપાસની મદ્રેસામાંથી ફાળો ઉઘરાવતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત ઉના તાલુકાના નવાબંદરમાં પોલીસે કાશ્મીરથી આવેલા ત્રણ શખ્સની પૂછપરછ કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટે જરૂર વગર સારવારના નામે પૈસા પડાવ્યા જામનગરમાં પણ ખ્યાતિકાંડ જેવો કિસ્સો સામે આવ્યો છે. શહેરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં 262 કેસમાંથી 53માં જરૂરિયાત વગર કાર્ડિયાક પ્રોસીજર કરવાનો અને 105 કાર્ડિયાક પ્રોસીજરમાં ગેરરીતિ થઈ હોવાનું આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું છે. આ મામલે જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે અને ડો. પાર્શ્વ વોરા (G-28538) ને પણ કાર્ડિયોલોજી અને કાર્ડિયોવેસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં ક્ષતિ બદલ સસ્પેન્ડ કરાયા છે. સાથે જ રૂ. 6 લાખથી વધુનો દંડ પણ ફટકારાયો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સહાય માટે કાલથી ખેડૂતો અરજી કરી શકશે ગત 7 નવેમ્બર, 2025ના રોજ રાજ્ય સરકારે પાક નુકસાની માટે 10 હજાર કરોડના ઇતિહાસના સૌથી મોટા કૃષિ પેકેજની જાહેરાત કરી હતી. આ સહાય પિયત અને બિનપિયત માટે એક સમાન ધોરણે તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 22000 ચૂકવાશે, એમાં 16500 ગામના ખેડૂતોને લાભ મળશે. જેનો સર્વે થયો નથી એ ખેડૂત પણ અરજી કરી શકશે. હવે આ સહાય પેકેજનો લાભ મેળવવા માટે 14મી નવેમ્બર(શુક્રવાર)ના રોજ બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઇન અરજી https://krp.gujarat.gov.in પોર્ટલ પર ખેડૂતો અરજી કરી શકશે. આ અરજી કરવા માટે VCE/VLE મદદરૂપ થશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ 'ફૂડ ફોર થોટ ફેસ્ટ-2025' શરુ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજથી (13 નવેમ્બર) ભવ્ય ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025’ની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સંયૂક્ત રીતે ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રી સહિતના નેતાઓ અને હાજર લોકોએ સ્વદેશી ચીજ-વસ્તુઓના ઉપયોગને લઈને સંકલ્પ લીધો હતો. બાદમાં રાજ્યના મુખ્યમંત્રીએ બુક ફેરના અલગ-અલગ સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમજ અહીં CM, રીવાબા સહિત તમામ નેતાઓએ સ્વાદીષ્ટ ભોજનનો સ્વાદ માણ્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પિતા-પુત્રીની એકસાથે અંતિમયાત્રા નીકળી સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કદોડ ગામ માટે આજની સવાર અત્યંત શોકાતુર અને કરુણામય રહી. ગત ઓક્ટોબર માસમાં નેપાળ ખાતે ટ્રેકિંગ માટે ગયેલા કદોડના વતની જીગ્નેશ પટેલ અને તેમની પર્વતારોહક પુત્રી પ્રિયાંસી પટેલ ભારે હિમવર્ષામાં લાપતા થયા બાદ, આજે (13 નવેમ્બર) ચાર દિવસ બાદ તેમના પાર્થિવદેહો વતન લાવવામાં આવ્યા હતા. વહેલી સવારે પિતા-પુત્રીની અંતિમયાત્રા નીકળતાં સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું અને મોટી સંખ્યામાં સ્વજનો તથા ગ્રામજનો અશ્રુભીની આંખે તેમાં જોડાયા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રેલિંગ કૂદી કાર હાઈવેની સાઈડમાં ફંગોળાઈ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર નજીક દાહોદ હાઈવે પર આવેલા ભથવાડા ટોલનાકા પાસે આજે (13 નવેમ્બર) વહેલી સવારે એક અત્યંત ગંભીર અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશ ખાતે લગ્નપ્રસંગમાં જઈ રહેલા વડોદરાના એક પરિવારની કાર અચાનક બેકાબૂ બની રેલિંગ કૂદીને હાઈવેની સાઈડમાં ફંગોળાઈ હતી.કસ્માત એટલો ભયાનક હતો કે, કારમાં સવાર પાંચેય વ્યક્તિ ઉછળીને બહાર ખેતરમાં પડ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા તમામને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ખારાઘોડામાં બાર બોરની બંદૂકથી ફાયરિંગ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામના સ્ટેશન ખાતે એક યુવાન પર ફાયરિંગની ઘટના બની છે. બાર બોરની બંદૂકથી ફાયરિંગ થતાં યુવાનને પેટ અને સાથળના ભાગે ગોળી વાગતાં તાત્કાલિક પાટડી સરકારી હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાંથી હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે વિરમગામની શિવ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો છે. 8 મહિના પહેલાં આરોપીની પ્રેમિકા સાથે આ ઘાયલ યુવકની માતા અને બહેનનો ઝગડો થયો હતો. જેનું મનદુઃખ રાખીને આરોપીએ આજે ફાયરિંગ કર્યું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો શિક્ષકોને SIRની કામગીરી સોંપાતા શિક્ષણ કાર્ય પર અસર ગુજરાતમાં મતદાન યાદી સઘન સુધારણાની કામગીરી માટે શિક્ષકોને BLOની કામગીરી સોંપવામાં આવી છે. બીજું શૈક્ષણિક સત્ર 144 દિવસ ચાલવાનું છે. જેની સામે શિક્ષકોને 90 દિવસ સુધી મતદાન યાદી સઘન સુધારણાની કામગીરીમાં લગાડી દેવામાં આવ્યા છે. એમાં પણ જો શિક્ષકો BLOની કામગીરીમાં હાજર ના થાય તો ધરપકડના વોરંટ પણ ઇશ્યૂ કરવામાં આવ્યા હોવાનો શૈક્ષિક મહાસંઘ દાવો કરે છે. જેથી શિક્ષકો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનું છોડી SIRની કામગીરીમાં લાગી ગયા છે. શાળાઓમાં ભાર વગરનું ભણતર કરવાના પ્રયાસમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કોણ કરાવશે તો મોટો સવાલ ઊભો થયો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો મૂર્ઘાને મૂર્ઘાની ચાલ ચલાવતી રાજકોટ પોલીસ રાજકોટ શહેરના મંગળા રોડ પર 29 ઓક્ટોબરના રોજ પેંડા અને મૂર્ઘા ગેંગ વચ્ચે થયેલ સામસામે અંધાધૂંધ ફાયરિંગ કેસમાં પોલીસે 13 દિવસ બાદ ગઈકાલે સમીર ઉર્ફે મૂર્ઘા સહિત 3 આરોપીની ધરપકડ કરી હતી જે બાદ આજે(13 નવેમ્બર) સમીર ઉર્ફે મૂર્ઘો અને સોહીલ ઉર્ફે ભાણો ચાનીયાને ઘટનાસ્થળ પર લઇ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવાયું હતું. આ દરમિયાન બંને આરોપીએ હાથ જોડી માફી માંગી હતી. ઉલ્લેખનીય છે કે મૂર્ઘા ગેંગના મુખ્ય આરોપી સમીર ઉર્ફે મૂર્ઘો અને તેના સાગરીત સોહીલ ઉર્ફે ભાણો ચાનીયાને મૂર્ઘાની ચાલ ચલાવવામાં આવી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ઇકો ગુલાંટી ખાઈ પલટી, એકનું મોત-4 ઘાયલ બગોદરા-બાવળા હાઈવે પર ભાયલા મોગલ ધામ નજીક વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઈકો કાર પલટી ખાઈ જતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ચાર અન્ય લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ઈકો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર ગલોટિયાં ખાઈને પલટી ગઈ હતી. આ અકસ્માત વહેલી સવારે થયો હતો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:55 pm

ઉમરેઠની બંધન બેંકમાં ચોરીનો પ્રયાસ:લોકર ન તૂટતા તસ્કરો ખાલી હાથે પરત ફર્યા, પોલીસ તપાસ શરૂ

આણંદ જિલ્લાના ઉમરેઠમાં રતનપુરા ચોકડી પાસે આવેલી બંધન બેંકમાં ચોરીનો પ્રયાસ થયો છે. તસ્કરો બેંકનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા, પરંતુ લોકર ન તૂટતાં તેઓ ચોરી કર્યા વિના જ ભાગી ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, તસ્કરોએ બેંકમાં પ્રવેશ કર્યા બાદ કબાટ અને તિજોરીમાં રાખેલો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. ત્યારબાદ તેમણે બેંકના લોકરને તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા ન મળતાં તેઓ ખાલી હાથે પરત ફર્યા હતા. ઘટનાની જાણ થતાં જ ઉમરેઠ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઉમરેઠ પોલીસ મથકના PI સેફાલી બુલાનના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે ચોરીનો પ્રયાસ થયો હતો. જોકે, લોકર ન તૂટતાં બેંકમાંથી કોઈ વસ્તુની ચોરી થઈ નથી. પોલીસે બેંકના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી લીધા છે અને તેના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે ઉમરેઠ પંથકમાં ચકચાર મચી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:52 pm

બહિયલ કેસમાં 2 આરોપીની જામીન અરજી પરત ખેંચાઈ:હાઇકોર્ટે જામીન અરજી નકારવાનું વલણ ધરાવ્યું હતું, ગાંધીનગર કોર્ટે હુકમમાં લખ્યું હતું કે-'સંપ્રદાયના નામે ઝેર ફેલાવી શકાય નહીં'

બહિયલ વિવાદ કેસમાં આરોપી મોહમ્મદ આદિલ કુરેશી અને અહમદ હસન કુરેશી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ચાર્જશીટ પહેલા જામીન અરજી ફાઈલ કરવામાં આવી હતી. જેને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દેવાનું વલણ ધરાવતા આ અરજી પરત ખેંચવામાં આવી હતી. કેસને વિગતે જોતા તાજેતરમાં ગાંધીનગરના બહિયલ ગામમાં બહુમતી કોમના એક વ્યક્તિએ પોતાના સોશિયલ મીડિયા સ્ટેટસમાં આઈ લવ મહાદેવ લખીને મૂક્યું હતું. જેથી લઘુમતિ કોમના સભ્યોને લાગ્યું હતું કે, બહુમતી કોમના સભ્યો તેમના આઈ લવ મોહમ્મદ કાર્યક્રમની નકલ કરી રહ્યા છે. જેથી તેઓએ ભેગા મળીને ગુનાહિત કાવતરું રચ્યું હતું ટોળાએ ગામના ચોકમાં આવીને દુકાનોમાં આગ લગાડી હતીહથિયારો સાથે 200 જેટલા લઘુમતી કોમના ટોળાએ ગામના ચોકમાં આવીને દુકાનોમાં આગ લગાડી હતી. વાહનોને નુકસાન કર્યું હતું અને બહુમતી કોમના લોકોને ઈજા પહોંચાડીને માર માર્યો હતો. એટલું જ નહીં પરંતુ પોલીસ આવતા પોલીસ ઉપર પણ પથ્થર મારો કર્યો હતો, પોલીસના વાહનોને નુકસાન કર્યું હતું. આગ બુઝાવવા આવેલી ફાયર ફાઇટર્સની ગાડીઓને રોકવા પ્રયત્ન કર્યો હતો. સરકારી વકીલે આ જામીન અરજીની વિરોધ કર્યોગુજરાત હાઇકોર્ટ અગાઉ ગાંધીનગરની કોર્ટમાં અરજદારોએ જામીન મૂક્યા હતા. જેમાં જણાવ્યું હતું કે તેમની સામે દ્વેષ ભાવનાથી ફરિયાદ કરવામાં આવી છે. ઘટનાના કોઈ CCTV ફૂટેજ નથી. તેમની પાસેથી કોઈ જવલનશીલ પદાર્થ મળ્યો નથી. તેઓ ગરીબ અને કુટુંબવાળા વ્યક્તિ છે. જામીન નિયમ છે અને જેલ અપવાદ છે. જો કે સરકારી વકીલે આ જામીન અરજીની વિરોધ કરતા જણાવ્યું હતું કે, આરોપીઓએ બહિયલ ગામને બાનમાં લીધું હતું. તેઓએ ખાનગી અને સરકારે મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનામાં પોણા કરોડનું નુકસાન થયું છે. જો તેમને જામીન આપવામાં આવે તો બહિયલ ફરીથી અશાંત બને તેમ છે. સોશિયલ મીડિયા સ્ટેટ્સથી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતાઆરોપીઓ જામીન ઉપર છૂટીને સાક્ષીઓને ધમકી આપી શકે તેમ છે. ફક્ત એક સોશિયલ મીડિયા સ્ટેટ્સથી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને નજીવી બાબતને મોટો મુદ્દો બનાવી દીધો હતો. ગાંધીનગરની કોર્ટે અરજદારોની જામીન અરજી નકારતા નોંધ્યું હતું કે, એકમ સત વિપ્રાહ: બહુધા વદન્તિ અર્થાત પરમેશ્વર એક જ છે. જુદા જુદા લોકોની ઉપાસના પદ્ધતિ અલગ અલગ હોઈ શકે. સંપ્રદાયના નામ ઉપર ઝેર ફેલાવી શકાય નહીં. એક સાથે ઉઠતા બેસતા લોકો વચ્ચે ઝેર ફેલાવવાનું કામ થયું છે. જેની દેશવ્યાપી અસર પડી શકે તેમ હતી. તપાસ અત્યારે નાજુક તબક્કામાં છે. ત્યારે આરોપીઓને જામીન આપી શકાય નહીં.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:28 pm

મહિલા પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી દારૂ મળ્યો...!:ટોપ થ્રી પાસે રોયલ પાર્કમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના ઘરેથી દેશી ઇંગ્લિશ દારૂ ઝડપાયો

બે મહિલા કોન્સ્ટેબલ તથા એક ભાગેડુ આરોપી મળી ત્રણ વ્યક્તિની ધરપકડ, સમગ્ર બનાવને લઈને પોલીસ બેડામાં ભારે ચકચાર ભાવનગર પોલીસ સ્ટેશનમાં તળાજા તાલુકાના રોયલ ગામના એક શખ્સ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થઈ હોય આ ફરિયાદીને મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરમાં આશરો આપ્યો હોવાની માહિતી આધારે એસસી એસટીસેલ ની ટીમ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને સાથે રાખી મહિલા પોલીસ કોન્સ્ટેબલ ના ઘરે રેડ કરતા વોન્ટેડ આરોપી સાથે મહિલાના ઘરમાંથી ઈંગ્લીશ દારૂ પણ મળી આવતા પોલીસે બે મહિલા કોન્સ્ટેબલ અને એક વોન્ટેડ આરોપી મળી કુલ ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે. સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર તળાજા તાલુકાના દેવલી ગામે વાડી વિસ્તારમાં આવેલ પીપરલા રોડ પર રહેતા પાર્થ દિનેશ ધાંધલ્યા વિરુદ્ધ એટ્રોસિટી અંગે ફરિયાદ દાખલ થઈ હતી આ ગુનો નોંધાયા બાદ આરોપી વોન્ટેડ હોય આરોપીને ભાવનગર શહેરના ટોપથી પાછળ આવેલ રોયલ પાર્ક પ્લોટ નંબર.18 માં રહેતી અને ભરતનગર પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી નયના નાનજીભાઈ બારૈયા નામની મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરમાં આશરો આપ્યો હોવાની બાતમી એસસી એસટી સેલ ની ટીમને મળતા એસસી એસટી સેલ ની ટીમ તથા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે સંયુક્ત કામગીરી હાથ ધરી રોયલ પાર્ક માં રહેતી મહિલા કોન્સ્ટેબલના ઘરે રેડ કરતા ભાગેડુ આરોપી પાર્થ દિનેશ ધાંધલીયા ઉંમર વર્ષ 26 હાજર મળી આવ્યો હતો અને ઘરની તલાસી લેતા ઘરમાંથી એક ઇંગ્લિશ દારૂની બોટલ રૂ.1300 ની કિંમતની અને એક બિયર નું ટીન ખાલી મળી આવ્યું હતું. ઉપરાંત મહિલા કોન્સ્ટેબલ નયના નાનજીભાઈ બારૈયા ઉ.વ.34 તથા અન્ય એક મહિલા કોન્સ્ટેબલ ઉષા ભુપતભાઈ જાની ઉં.વ.29 રહે.વિદ્યાનગર નવી પોલીસ લાઈન વાળી પણ હાજર મળી આવેલ આથી એસસી એસસી એસટી સેલની ટીમ તથા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બે મહિલા કોન્સ્ટેબલ અને એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરી ત્રણેય વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ બનાવને લઈને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:17 pm

કચ્છના નાના રણમાં મીઠા ઉત્પાદનમાં 25% ઘટાડાની શક્યતાં:ગ્લોબલ વોર્મિંગ, કમોસમી વરસાદથી ઉદ્યોગ સંકટમાં, રણની જમીનમાં બ્રાઇનનું પ્રમાણ ઘટતાં ઉત્પાદન પર નકારાત્મક અસર

ગુજરાતનો મીઠા ઉદ્યોગ ગ્લોબલ વોર્મિંગ અને કમોસમી વરસાદને કારણે મોટા સંકટનો સામનો કરી રહ્યો છે. આ વર્ષે કચ્છના નાના રણમાં મીઠાના ઉત્પાદનમાં અંદાજે 25% જેટલો ઘટાડો થવાની સંભાવના છે, જે મીઠા ઉત્પાદકો અને અગરિયાઓ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. રણની જમીનમાં બ્રાઇનનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે, જે ઉત્પાદન પર નકારાત્મક અસર કરી રહ્યું છે. આ ઉપરાંત, દરિયાકાંઠે ઉત્પન્ન થતા મીઠાની સરખામણીમાં રણમાં મીઠાનું ઉત્પાદન ખર્ચાળ હોવાથી અગરિયાઓ માટે આ વ્યવસાયમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. નિષ્ણાતોના મતે, આગામી બે વર્ષમાં ગાંગડાવાળું મીઠું ભૂતકાળ બની શકે છે. ભારતના કુલ 3 કરોડ મેટ્રિક ટન મીઠાના ઉત્પાદનમાંથી લગભગ 75% એટલે કે 2.25 કરોડ મેટ્રિક ટન મીઠું ગુજરાતમાં પાકે છે. આમાંથી, સુરેન્દ્રનગર જિલ્લાનો ફાળો 25 લાખ મેટ્રિક ટન જેટલો છે. ગત વર્ષે પણ કચ્છના નાના રણમાં મીઠું ખેંચવાની સીઝન દરમિયાન કમોસમી વરસાદ પડ્યો હતો, જેના કારણે મોટાભાગનું મીઠું રણમાં જ રહી ગયું હતું અને વેપારીઓ તેમજ અગરિયાઓને ભારે નુકસાન થયું હતું. આ વર્ષે પણ અગરિયા પરિવારોએ એક મહિનાની સખત મહેનત બાદ મીઠું પકવ્યું હતું, પરંતુ ફરી વરસાદ ખાબકતા તેમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. કચ્છના નાના રણમાં અગરિયાઓ પરંપરાગત રીતે ઓર્ગેનિક મીઠાની ખેતી કરે છે, જેમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા કુદરતી પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જોકે, ગ્લોબલ વોર્મિંગ અને અન્ય પડકારોને કારણે એક સમયનો ગુજરાતનો ગૌરવ સમાન આ ઉદ્યોગ હવે તેના અસ્તિત્વના સંકટનો સામનો કરી રહ્યો છે. વડાગરુ (ગાંગડાવાળુ) મીઠું બંધ થવાના મુખ્ય કારણો સરકાર દ્વારા મીઠું પકવતા અગરિયાઓને અપાતી સુવિધાઓ મીઠાના ઉત્પાદનના આંકડા સુરેન્દ્રનગર જિલ્લાના મીઠાના નિકાસના આંકડા મીઠ‍ા ઉદ્યોગથી રોજગારી- 30,000 અગરિયાઓ, 50,000 મીઠા કામદારો અને વેપારીઓ તેમજ મીઠ‍ા ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલા લોકોની સંખ્યા 5 લાખ.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:10 pm

અન્ડર-18 વેઈટલિફ્ટિંગમાં પોરબંદરના યુવાનની સિદ્ધિ:ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનું બિરુદ જીત્યું, ખારવા સમાજ દ્વારા સન્માન

પોરબંદરના યુવાન શિવમ ગોહેલે અમદાવાદ ખાતે વર્લ્ડ પાવરલિફ્ટિંગ ઈન્ડિયા એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા આયોજિત અન્ડર-૧૮ વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં 'ચેમ્પિયન ઓફ ચેમ્પિયન'નું બિરુદ મેળવ્યું છે. આ સિદ્ધિ બદલ પોરબંદર ખારવા સમાજ દ્વારા શિવમ ગોહેલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહ ખારવા સમાજ ખાતે યોજાયો હતો. જેમાં વાણોટ/પ્રમુખ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી, વરિષ્ઠ સલાહકાર સમિતિના અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ, તેમજ પંચપટેલ/ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શિવમ ગોહેલને ખારવા સમાજ ગૌરવ સર્ટીફીકેટ એનાયત કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું. સમગ્ર ખારવા સમાજે શિવમ ગોહેલ ભવિષ્યમાં વેઈટલિફ્ટિંગ ક્ષેત્રે વધુ પ્રગતિ કરી પરિવાર, સમાજ અને દેશનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:00 pm

સુરત સાથે ગુજરાત અને દેશનું ગૌરવ:25 વર્ષીય ટેનિસ સ્ટાર માનવ ઠક્કર વિશ્વ ટેબલ ટેનિસના ટોપ-35માં સ્થાન મેળવનાર પાંચમો ભારતીય

ગુજરાતના સ્ટાર પેડલર 25 વર્ષીય માનવ ઠક્કરની કારકિર્દીમાં વધુ એક યશકલગી ઉમેરાય છે. સુરતના યુવા ટેનિસ ખેલાડીએ વર્લ્ડ ટેબલ ટેનિસ ક્રમાંકમાં ટોપ-35માં સ્થાન મેળવી વિશ્વ ફલક પર દેશ-રાજ્યનું નામ રોશન કર્યું છે. વર્લ્ડ ટોપ-35માં સ્થાન મેળવનાર માનવ ત્રીજો પુરુષ ખેલાડી અને પાંચમો ભારતીય પેડલર બન્યો છે. ઈન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન(ITTF)ના 2025ના 46મા સપ્તાહ માટેના તાજેતરમાં જ જાહેર થયેલા ક્રમાંક મુજબ માનવ ઠક્કરે નવા 35મા ક્રમ સાથે ત્રણ ક્રમની આગેકૂચ કરી છે. આ સિદ્ધિ સાથે માનવ ભારતના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓએ.શરથ કમાલ, જી. સાથિયાન, શ્રીજા અકુલા અને મનિકા બત્રાની હરોળમાં આવી ગયો છે. વિશ્વ રેન્કિંગમાં 150મા ક્રમથી શરુઆત કરી હતીસુરતના ટેનિસ પ્લેયર માનવે જણાવ્યું હતું કે, મેં દરેક તબક્કે મારી રમતના દરેક પાસાઓમાં સુધારો કરવાનું જ ધ્યેય રાખ્યું છે. એ જ રીતે વર્ષ 2021માં વિશ્વ રેન્કિંગમાં 150મા ક્રમથી કરેલી શરૂઆત બાદ આજે ટોપ-35માં સ્થાન મેળવી શકયો છું. હાલ જ વાયરલમાંથી સ્વસ્થ થયા બાદ હું આવનારી ઓમાન WTT સ્ટાર સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા આશાવાદી છું. માનવે વર્ષ 2025માં વિશ્વના ટોચના ખેલાડીઓ સામે સંખ્યાબંધ રોમાંચક મેચો સાથે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. જેમાં ચેન્નાઈ ખાતેની WTT સ્ટાર કન્ટેન્ડરમાં ભૂતપૂર્વ 15મા ક્રમાંકિત કોરિયન ખેલાડી લિમ જોંગહૂન, યુરોપિયન સ્મેશમાં જાપાનના વિશ્વના 23મા ક્રમાંકિત શિન્ઝોઉકા હિરોટો, વિશ્વના ચોથા ક્રમના ટોમુકાઝુ હારિમોટો તથા 16મા ક્રમના એન જેહ્યુન(કોરિયા) સામેની વિવિધ મેચોનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:52 pm

બાળકો પાસે કચરો વીણાવાતો હોવાનો વીડિયો વાઇરલ:પીપળીયા સરકારી પ્રાથમિક શાળાની ઘટના, આચાર્યએ કહ્યું-'જે બાળકોએ કચરો કર્યો તેને ડસ્ટબિનમાં નાખવાની સામાન્ય સૂચના હતી'

રાજકોટમાં પીપળીયા સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસેથી કચરો વીણાવવામાં આવતો હોવાનો વીડિયો વાઇરલ થતા શિક્ષણ જગતમાં ચિંતા વ્યાપી છે. ભણશે ગુજરાતના મોડેલને ફેઈલ કરતા આ વીડિયોમાં ત્રણથી ચાર વિદ્યાર્થીઓ કચરાની ડસ્ટબિન લઈને જતા નજરે પડે છે. વિદ્યાર્થીઓને અભ્યાસને બદલે મજૂરીકામ કરાવવામાં આવતું હોવાના વીડિયોથી સરકારી શાળાઓમાં અપાતા શિક્ષણ સામે સવાલો ઊભા થયા છે. એક જાગૃત નાગરિકે વીડિયો ઉતારી વાઇરલ કર્યો હતો. ટબાળકોએ કચરો કર્યો હતો તે ડસ્ટબિનમાં નાખવા સૂચના આપી હતી'આ બાબતે દિવ્ય ભાસ્કર ડિજિટલ દ્વારા રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, બાળકોને કચરો ન કરવા અને કચરો કરે તે ડસ્ટબિનમાં નાખી દે તેવી સામાન્ય સૂચના આપવામાં આવી હતી. જેમાં શિક્ષકોનો કોઈ જ વાંક નથી. જ્યારે સ્કૂલના આચાર્ય અમિત પરમારનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલનો તે વીડિયો છે. જેમાં વિદ્યાર્થીઓ રિશેષમાં કચરો કરતા હોય તે લઈ કચરાપેટીમાં નાખવા સૂચના અપાઈ હતી. બાકી કોઈ જ જાતનું કામ બાળકો પાસે કરાવવામાં આવતું નથી. મજૂરીકામ કરતા વાઇરલ વીડિયોથી અનેક સવાલો અહીં એક સફાઈ કામદાર છે અને આ સ્કૂલમાં બાલવાટિકા તેમજ ધોરણ 1થી 8માં 256 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જોકે અહીં સવાલ એ છે કે, સરકારી શાળામાં તગડો પગાર લેતા સરકારી શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવાને બદલે મજૂરીકામ શા માટે કરાવે છે? રાજ્ય સરકાર આ પ્રકારના શિક્ષકો સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:43 pm

15 હજારમાં ધો-10, 12, ITIની નકલી માર્કશીટ-સર્ટિફિકેટ તૈયાર!:ભરૂચ SOGએ અંકેશ્વરમાં રેડ કરી દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો; એકની ધરપકડ, દિલ્હીનો મુખ્ય સુત્રધાર વોન્ટેડ

ભરૂચ SOG પોલીસે અંકલેશ્વર શહેરમાં કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતા ડુપ્લીકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવવાના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવતા જયેશ પ્રજાપતિની ધરપકડ કરી છે, જ્યારે દિલ્હીના એક મુખ્ય સહભાગીને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, અંકલેશ્વરના હેપ્પી કોમ્પ્લેક્સમાં આવેલી રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસમાં ધોરણ 10, 12 તેમજ ITIની નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ તૈયાર કરીને વિદ્યાર્થીઓને આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી. આ માટે પ્રતિ વિદ્યાર્થી પાસેથી રૂ.15 હજારની રકમ લેવામાં આવતી હતી, જેમાંથી રૂ.7,500 દિલ્હી સ્થિત વ્યક્તિને ઓનલાઈન ચુકવવામાં આવતા હતા અને ત્યાંથી બનાવેલી નકલી માર્કશીટ અંકલેશ્વર મોકલવામાં આવતી હતી. SOG ટીમને આ બાબતે બાતમી મળતાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, આરોપી જયેશ પ્રજાપતિ પાસેથી દિલ્હી બોર્ડ ઓફ સિનિયર સેકન્ડરી એજ્યુકેશન સહિત વિવિધ ઇન્સ્ટિટ્યૂટના કુલ 21 નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ મળી આવ્યા હતા. પોલીસે કોમ્પ્યુટર, સીપીયુ અને પ્રિન્ટર સહિત કુલ રૂ.45 હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આરોપી લાંબા સમયથી આ ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યો હતો. અત્યાર સુધી કેટલાં લોકોને નકલી માર્કશીટ આપવામાં આવી છે અને તેનો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવ્યો છે, તે અંગેની વધુ તપાસ SOG દ્વારા શરૂ કરવામાં આવી છે. પોલીસ સૂત્રો અનુસાર, દિલ્હીના મુખ્ય સહભાગીની ઓળખ થઈ ગઈ છે અને તેની ધરપકડ માટે એક ટીમ દિલ્હી મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે. ભરૂચ SOG દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીથી શિક્ષણ ક્ષેત્રમાં ચાલતા નકલી પ્રમાણપત્રના રેકેટનો મોટો ભાંડો ફૂટ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:39 pm

ટાવરમાંથી કાર્ડ ચોરી થયું:વાસણાના JIOના ટાવરમાંથી 5Gનું કાર્ડ અજાણ્યો વ્યક્તિ ચોરી ગયો

અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા JIOના મોબાઈલ ટાવરમાંથી અજાણ્યો વ્યક્તિ 5Gનું કાર્ડ કાઢી ગયો હતો જેના કારણે ટાવર બંધ થઈ ગયું હતું. એસ્ટેટ મેનેજરે આ અંગે તપાસ કરતા કાર્ડ ગાયબ હતું જેથી અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. જુહાપુરામાં રહેતા મોહમંદકલીમ શેખે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ JIO કંપનીમાં એસ્ટેટ મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓ JIOના ટાવરમાં લીગલ ઇસ્યૂ અને ફોલ્ટ હોય તો પણ તેઓ કામ કરે છે. 7 નવેમ્બરે તેમને કંપનીના સુપરવાઈઝરનો ફોન આવ્યો હતો કે જીવરાજ મહેતા હોસ્પિટલની પાસે આવેલા ટાવર બંધ થવાનો એલાર્મ વાગવા લાગ્યો છે જેથી તેમણે સ્થળ પર જઈને તપાસ કરી તો JIO કંપનીના ટાવરમાંથી 5Gનું કાર્ડ ચોરી થયું છે. ટાવરમાંથી અજાણ્યો વ્યક્તિ 5G કાર્ડ જેની કિંમત 25 હજાર છે તે ચોરી થયું છે. આ અંગે વાસણા પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:32 pm

પાટણ નવી કલેક્ટર કચેરીને રૂ.22.69 કરોડની મંજૂરી:2026 સુધીમાં ભૂકંપ પ્રતિરોધક G+2 બિલ્ડિંગ પૂર્ણ કરવાનું લક્ષ્ય

પાટણ જિલ્લામાં નવીન કલેક્ટર કચેરીના બાંધકામ માટે સરકારે વર્ષ 2023-24 ની નવી બાબતની જોગવાઈ હેઠળ રૂ. 2269.66લાખની વહીવટી મંજૂરી આપી છે. આ મંજૂરી 15 મે, 2023ના પત્ર દ્વારા આપવામાં આવી હતી. માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ, પાટણ દ્વારા 2 એપ્રિલ, ૨૦૨૫ના રોજ મારુતિ ફાઉન્ડેશન એન્ડ કન્સ્ટ્રક્શન કંપનીને 18 મહિનાની સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા માટે વર્ક ઓર્ડર અપાયો છે. આ નવી કચેરીનું બાંધકામ 29 ઓક્ટોબર, 2026 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આ નવીન કલેક્ટર કચેરી G+2 પ્રકારનું ભૂકંપ પ્રતિરોધક આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર હશે. તેનો કુલ બાંધકામ વિસ્તાર 6231.00ચોરસ મીટર રહેશે. જેમાં 310.00ચોરસ મીટર પાર્કિંગ, 2156.00 ચોરસ મીટર ગ્રાઉન્ડ ફ્લોર, 2363.00 ચોરસ મીટર પ્રથમ માળ, 1162.00 ચોરસ મીટર બીજો માળ અને 240.0 ચોરસ મીટર સ્ટેર કેબિનનો સમાવેશ થાય છે. આ કચેરીમાં અત્યાધુનિક સુવિધાઓ જેવી કે સમ્પ, પાર્કિંગ શેડ, ગાર્ડન, રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, વાતાનુકૂલિત કોન્ફરન્સ હોલ, આર.ઓ. સિસ્ટમ, ફર્નિચર, રેકોર્ડ રૂમ અને ફાયર સેફ્ટી સિસ્ટમ ઉપલબ્ધ થશે. બાંધકામની વર્તમાન સ્થિતિ મુજબ, ઇજારદાર દ્વારા એ અને બી બ્લોકમાં પ્લીંથ સ્લેબ સુધીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સી બ્લોકમાં ફાઉન્ડેશનની કામગીરી પ્રગતિમાં છે, જ્યારે ડી બ્લોકમાં ટાઈ બીમની કામગીરી ચાલી રહી છે. સમગ્ર પ્રોજેક્ટ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે કાર્ય પુરઝડપે ચાલી રહ્યું છે. નવીન કલેક્ટર કચેરીના બાંધકામથી અનેક લાભો થશે. આધુનિક સુવિધાઓ જેવી કે વાતાનુકૂલિત કોન્ફરન્સ હોલ, ફાયર સેફ્ટી, આર.ઓ. સિસ્ટમ, ફર્નિચર અને રેકોર્ડ રૂમ નાગરિકોને વધુ સારી સેવાઓ પૂરી પાડશે. સુવિધાસભર ઇમારતને કારણે શાસનકાર્ય વધુ અસરકારક અને ઝડપી બનશે, જેનાથી નાગરિકોને મળતી સેવાઓની ગુણવત્તા સુધરશે. આ પ્રોજેક્ટથી આર્થિક વિકાસને પણ વેગ મળશે, કારણ કે તેના બાંધકામથી રોજગારીની નવી તકો ઊભી થશે અને સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત, આસપાસના વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓમાં પણ સુધારો થશે, જે સ્થાનિક વિકાસ માટે ફાયદાકારક સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:29 pm

ભચાઉના વાંઢિયા નજીક ઘાસ ભરેલું ટ્રેલર સળગ્યું:વીજ લાઇનના સંપર્કમાં આવતા આગ લાગી, ફાયર ટીમ ઘટનાસ્થળે

ભચાઉ તાલુકાના વાંઢીયા ગામ નજીક ઘાસચારો ભરેલું એક ટ્રેલર વીજ લાઇનના સંપર્કમાં આવતા ભડભડ સળગી ઉઠ્યું હતું. આ ઘટના ગુરુવારે બપોરે ચાર વાગ્યાના અરસામાં બની હતી. આગને કારણે આકાશમાં દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ટ્રેલર પંજાબથી સૂકો ઘાસચારો ભરીને વાંઢીયા તરફ જઈ રહ્યું હતું. રસ્તામાં ઉપરથી પસાર થતી હેવી વીજ લાઇનના સંપર્કમાં ઘાસચારો આવતા તેમાં આગ લાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લાખો રૂપિયાના ટ્રેલર અને ઘાસચારાના જથ્થાને વ્યાપક નુકસાન થયું છે. આગની જાણ થતા 112 નંબર પર જાણ કરવામાં આવી હતી. માહિતી મળ્યાના 30 મિનિટના સમયગાળામાં ભચાઉ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના કર્મચારીઓ વોટર બાઉઝર વડે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે. આ કામગીરીમાં ફાયરના પ્રવીણ દાફડા સહિતના કર્મચારીઓ જોડાયા છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:27 pm

વલસાડ પોલીસ દ્વારા દરિયાઈ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ:ઉમરગામના નારગોલમાં માછીમારોને માર્ગદર્શન અપાયું

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ઉમરગામના નારગોલ ગામના માંગેલવાડ વિસ્તારમાં દરિયાઈ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાના અધિક પોલીસ મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષક (દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સ), ગાંધીનગર તેમજ પોલીસ અધિક્ષ, મરીન સેક્ટર કમાન્ડર, હજીરા સુરતના માર્ગદર્શન હેઠળ ઉમરગામ મરીન સેક્ટર દ્વારા આ કાર્યક્રમ તા. 13 નવેમ્બર, 2025ના રોજ યોજાયો હતો. આ કાર્યક્રમનું સંચાલન નાયબ પોલીસ અધિક્ષક એ. એમ. કુગસીયા, મરીન ટીમ લીડર PSI એસ. એસ. પઠાણ, PSI કે. સી. પટેલ, સ્ટેટ આઈ.બી. PI કેતનભાઈ એમ. રાઠોડ, PSI કનૈયાલાલ ભાનુસાલી, એસ.ઓ.જી. PSI વાય.બી. હળિયા અને મરીન કમાન્ડો ટીમની ઉપસ્થિતિમાં થયું હતું. સ્થાનિક આગેવાનો સંજયભાઈ એલ. માંગેલા, અનિલભાઈ એચ. માંગેલા, ગ્રામજનો અને માછીમાર ભાઈઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દેશ અને પ્રજાની સુરક્ષા માટે દરિયાઈ સુરક્ષા અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. દરિયાઈ માર્ગેથી થતી આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા પર ભાર મૂકવામાં આવ્યો. ઉપસ્થિત લોકોને અપીલ કરવામાં આવી કે જો દરિયામાં કે દરિયાકાંઠા વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ, બિનવારસી વસ્તુ, પેકેટ, ડ્રગ્સ, બેગ, બોટ અથવા ડ્રોન જોવા મળે, તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલ રૂમને જાણ કરવી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દરિયાકાંઠા વિસ્તારમાં વસતા નાગરિકો અને માછીમાર ભાઈઓમાં સતત જાગૃતિ અને સુરક્ષા પ્રત્યે સહભાગિતાનો ભાવ વિકસાવવાનો હતો.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:18 pm

વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સાથે રહેવા-જમવાની સુવિધા મળશે:લીંબડીમાં રૂ. 5.12 કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલયનું નિર્માણ કાર્ય પુરજોશમાં

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં જીતુભા રાણા નગરપાલિકા ભવન નજીક રૂ. 5.12 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા સરકારી કુમાર છાત્રાલયનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. આ અધ્યતન છાત્રાલય વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે રહેવા-જમવાની સુવિધા પૂરી પાડશે. આ છાત્રાલયમાં 100 વિદ્યાર્થીઓ માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ થશે. તેને અધ્યતન સુવિધાઓ જેવી કે વિશાળ અને હવાઉજાસવાળા રૂમ, સ્વચ્છ ભોજનકક્ષ, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ અને શાંત અભ્યાસ વાતાવરણથી સજ્જ કરવામાં આવી રહ્યું છે. આ સુવિધાઓ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસમાં મદદરૂપ થશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત રહેઠાણ અને શિક્ષણ સુવિધાઓ પૂરી પાડવાનો છે. નિર્માણ કાર્ય સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે સંબંધિત વિભાગો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ સરકારી કુમાર છાત્રાલય લીંબડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે લાભદાયી સાબિત થશે. શહેરના કેન્દ્રીય સ્થળે રહીને, વિદ્યાર્થીઓ ચિંતામુક્ત રીતે તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આવી સુવિધાની ઉપલબ્ધતાથી શિક્ષણનું સ્તર સુધરશે અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસમાં મદદ મળશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:15 pm

દેવયાનીબા જાડેજા પર હુમલા બાદ ભૂમાફિયાઓ પર તંત્રની લાલ આંખ:24 કલાકમાં 3.30 કરોડના 11 ડમ્પર વાહનો જપ્ત, આગામી દિવસોમાં પણ સઘન ચેકિંગ ચાલુ રહેશે

કલોલ તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારમાં તાજેતરમાં જિલ્લા ભૂસ્તર તંત્રના મહિલા અધિકારી દેવયાનીબા જાડેજા સહિતની ટીમને ધાક ધમકીઓ આપી ભયનો માહોલ ઉભો કરી ભૂમાફિયાઓએ રેતી ખાલી કરીને ડમ્પર છોડાવી ફરાર થઈ જવાની ઘટનાના પગલે હવે ગાંધીનગર જિલ્લા ભૂસ્તર તંત્રે ગેરકાયદેસર ખનિજ વહન પ્રવૃત્તિઓ પર તવાઈ બોલાવી દીધી છે. ટીમ દ્વારા છેલ્લા 24 કલાકમાં પાંચ અલગ-અલગ વિસ્તારોમાંથી 3.30 કરોડની કિંમતના કુલ 11 ડમ્પર વાહનો જપ્ત કરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો: ફોર્ચ્યુનર-ક્રેટામાં સવાર માફીયાઓએ મહિલા અધિકારી દેવયાનીબાને ઘેર્યા:ગાળો ભાંડી રેતીનું ડમ્પર છોડાવી ગયા, ગાંધીનગર-કલોલ હાઇવે પર શ્વાસ થંભાવતી ચેઝ ડમ્પરો રોયલ્ટી પાસ વગર ઓવરલોડ રેતી લઈ જતા હોવાનું બહાર આવ્યુંસૌથી વધુ કલોલ તાલુકામાંથી 8 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે. આ તમામ ડમ્પરો રોયલ્ટી પાસ વગર કે પછી રોયલ્ટી પાસ કરતાં ઓવરલોડ રેતી લઈ જતા હોવાનું બહાર આવ્યું છે. રોયલ્ટી પાસ વગર વહન કરતા આ વાહનો વિક્રમસિંહ પરમાર, રામભાઈ ખંભાલીયા , મિલનભાઈ પંચાલ, અરવિંદભાઈ , ઉમંગભાઈ કુંડારિયા, અશ્વિનભાઈ રાઠોડ, વિકાસ ઠાકુર, નરેન્દ્રભાઈ પટેલ , મુન્નાભાઈ ભરવાડ, અલ્કેશભાઈ જોશી અને ચિરાગભાઈ બલુચીયાના હોવાનું સામે આવ્યું છે.​​​​​​​ કોઈપણ સંજોગોમાં ગેરકાયદેસર ખનિજ વહન ચલાવી લેવા દઈશું નહીંઆ તમામ વાહનોની કુલ કિંમત ₹3.30 કરોડ આંકવામાં આવી છે. ભૂસ્તર તંત્રના અધિકારીએ જણાવ્યું કે, “આ ઘટના બાદ અમે કોઈપણ સંજોગોમાં ગેરકાયદેસર ખનિજ વહન ચલાવી લેવા દઈશું નહીં. આગામી દિવસોમાં પણ સઘન ચેકિંગ અને કડક કાર્યવાહી ચાલુ રહેશે.” ભૂમાફિયાઓની ​​​​​​​દાદાગીરી સામે હવે સરકારી તંત્રએ સઘન કાર્યવાહી શરુ કરીઉલ્લેખનીય છે કે, મહિલા અધિકારી દેવયાનીબા જાડેજા સહિતની ટીમને ધમકી આપવાની ઘટનામાં કલોલ પોલીસે પણ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ભૂમાફિયાઓની આ દાદાગીરી સામે હવે સરકારી તંત્રએ સઘન કાર્યવાહી શરુ કરી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:13 pm

અમરેલીમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત:₹10.84 કરોડના ખર્ચે વાંકિયા, ચક્કરગઢ સહિતના વિસ્તારોમાં વિવિધ પ્રોજેક્ટ્સ શરૂ

અમરેલી જિલ્લામાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે અંદાજિત રૂપિયા 10.84 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વિકાસકાર્યોમાં વાંકિયા, ચક્કરગઢ અને ગીરીયા સહિતના વિસ્તારોમાં વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત વાંકિયા-ચાંદગઢ વચ્ચેના 19 કિલોમીટર લાંબા માર્ગનું રૂપિયા 8.50 કરોડના ખર્ચે રિ-સર્ફેસીંગ કરવામાં આવશે. ગીરીયામાં અંદાજિત રૂપિયા 1.88 કરોડના ખર્ચે 1200 મીટરનો સુવિધા પથ તૈયાર થશે. જ્યારે, ચક્કરગઢ ખાતે અંદાજિત રૂપિયા 46 લાખના ખર્ચે પશુ દવાખાનું બનાવવામાં આવશે. આ પ્રસંગે ગીરીયા મુકામે સંબોધન કરતા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદાર હાથે અમરેલીને વિકાસકાર્યોની ભેટ આપી છે. તેમણે ઉમેર્યું કે, આ વિસ્તારમાં ફક્ત ગીરીયા જ નહીં, પરંતુ અમરેલી-વડિયા-કુંકાવાવના 30 ગામોમાં 'સુવિધા પથ' મંજૂર થયા છે. આ સરકાર ખાતમુહૂર્ત કરેલા કામોના લોકાર્પણ કરીને વિકાસનો અનોખો ચીલો ચાતરી રહી છે. રાજ્યમંત્રીએ કોન્ટ્રાક્ટર અને સંબંધિત વિભાગના અધિકારીઓને તમામ કામો સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આ કાર્યક્રમોમાં જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન, તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, પીઠવાજાળ, ચક્કરગઢ, ગીરીયાના સરપંચો તેમજ માર્ગ અને મકાન વિભાગ, પંચાયત અને પશુપાલન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:07 pm

AMC હેડ ક્લાર્ક પુલકીત સથવારાની આગોતરા જામીન અરજી રદ:એન્જિનિયર બ્રાન્ચની ટેક્નિકલ ભરતીમાં કૌભાંડ બાદ અન્ય વિભાગમાં પણ 8 લોકોએ ખોટી રીતે સરકારી નોકરી મેળવી

AMCની ઇજનેર ખાતાની સહાયક ટેક્નિકલની ભરતી કૌભાંડમાં AMC હેડક્લાર્ક પુલકિત સથવારાનું નામ ખુલતા AMCએ અગાઉ યોજાયેલી ભરતીઓ માટે તપાસ કમિટીની રચના કરી હતી. જેમાં 8 લાયકાત વગરના ઉમેદવારો પસંદ થયા હોવાનું ધ્યાને આવ્યું છે. ત્યારે પુલકિત સથવારા સામે બીજી ફરિયાદ AMCએ કારંજ પોલીસ મથકે નોધાઇ હતી. જેમાં અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે તેને આગોતરા જામીન આપવા ઇનકાર કર્યા બાદ હાઇકોર્ટે પણ આગોતરા જામીન આપવા ઇનકાર કર્યો છે. પુલકીત સથવારા સામે ઓગસ્ટ મહિનામાં ગુનો નોંધાયો હતોઅમદાવાદના કારંજ પોલીસ મથકે અમદાવાદ મહાનગરપાલિકાની ઇન્ટરવ્યૂ બ્રાન્ચમાં હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પુલકીત સથવારા સામે ઓગસ્ટ મહિનામાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જે મુજબ અમદાવાદ મહાનગરપાલિકાના ઇજનેર ખાતામાં સહાયક ટેકનીકલ 93 જગ્યા ઉપર માર્ચ 2024 માં ભરતી જાહેર કરવામાં આવી હતી. જેનું ગુજરાત યુનિવર્સિટી મારફતે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં એક ઉમેદવારે OMR, ફાઇનલ આન્સર કી અને ખરેખર માર્કના તફાવતને લઈને ગુણ ચકાસણી માટે અરજી કરી હતી. જેમાં 4 ડિસેમ્બરના રોજ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે તમન્ના કુમારી પટેલ, મોનલ લીમ્બાચીયા અને જય પટેલને અનુક્રમે 77, 85 અને 85.25 ગુણ મળ્યા હતા. જ્યારે પરીક્ષા બોડી ગુજરાત યુનિવર્સિટી પાસેથી માર્ક્સ મંગાવતા તેમના માર્ક અનુક્રમે 18.50, 18.25 અને 19.25 હતા. ખરેખરમાં આરોપી હેડ ક્લાર્કને ગુજરાત યુનિવર્સિટી સાથે આ પરીક્ષા સંદર્ભે સંકલનમાં રહેવાની જવાબદારી સોંપવામાં આવી હતી. અમદાવાદ મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર મેરીટ લીસ્ટ જાહેર થાય તે પહેલા ઉપરોક્ત ત્રણેય ઉમેદવારોનું નામ મેરીટ લીસ્ટમાં નહીં હોવા છતાં તેમનું નામ ઉમેરી દેવામાં આવ્યું હતું અને ગુણ સાથે ચેડા કરવામાં આવ્યા હતા. આથી AMC દ્વારા 2019-20 થી લઈને 2023- 24 દરમિયાન થયેલ ભરતી પ્રક્રિયાની તપાસ કરવામાં આવી હતી. જેની તપાસમાં 8 ઉમેદવારો ગેરલાયકાત ધરાવતા હોવાનું સામે આવતા તેમને દૂર કરવા ભલામણ કરવામાં આવી છે. આ આઠ કર્મચારીઓના પરીક્ષાના માર્કમાં પણ ચેડા કર્યા હતા 1. મોહમ્મદ આસિફ, હિંમતનગર, સહાયક સર્વેયરની ભરતીમાં અસલમાં 35 માર્ક્સ આવ્યા અને વધીને 65 થયા. 2. અમદાવાદના જય પરમારના સબ ઇન્સ્પેક્ટર એસ્ટેટ/TDOની પરીક્ષામાં અસલમાં 34 માર્ક્સ આવ્યા, જે વધીને 60 થયા. 3. ઉજાસકુમાર ઘૂઘડિયા સિદ્ધપુરના સહાયક સેનેટરી ઇન્સ્પેકટરની ભરતીમાં 50.25 માર્ક્સ આવ્યા, જે વધીને 57.75 થયા. 4. ભાવનગરના પંકજ મેરિયા પાસે સહાયક સેનેટરી ઇન્સ્પેકટરનું સર્ટિફિકેટ ડિસ્ટન્સ લર્નિંગથી મેળવાયું હતું, જે માન્ય ન હોવા છત્તા નોકરી મળી. 5. સાબરકાંઠાના યુવરાજસિંહ ઝાલા પાસે પણ સહાયક સેનેટરી ઇન્સ્પેકેટરનું પ્રમાણપત્ર ડિસ્ટન્સ લર્નિંગથી મેળવાયું હતું, જે અમાન્ય હોવા છત્તા સિલેક્ટ થયા. 6. સાબરકાંઠાના આસિફ ખાનુસિયાને ફાર્મસિસ્ટની ભરતીમાં માત્ર 3.50 ગુણ મળ્યા હતા, જેને વધારીને 34.75 કરાયા હતા. 7. જામનગરની સાક્ષી સોઢાને મહિલા હેલ્થ વર્કરની ભરતીમાં 37.75 ગુણ આવ્યા હતા, જેને વધારીને 63 કરવામાં આવ્યા હતા. 8. સાબરકાંઠાની રેખા પટેલના મહિલા હેલ્થ વર્કરની ભરતીમાં 32.50 ગુણ આવ્યા હતા, જેને વધારીને 59.25 માર્ક્સ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત પરીક્ષાર્થીઓના માર્ક્સ એવી રીતે વધારાયા હતા. જેથી તેમનું નામ કટ ઓફ માર્કસથી ઉપર, સિલેક્શન લિસ્ટમાં આવે. આ પરીક્ષાઓ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી હતી. જેના પરિણામમાં પુલકિત સથવારાએ છેડછાડ કરી હતી. AMC ના સહાયક ટેક્નિકલ ઈજનેર ભરતી કૌભાંડ બાદ પુલકિત સથવારા ઉપર આ બીજી ફરિયાદ નોધાઇ હતી. તેને આર્થિક લાભ મેળવવા ખોટા કાગળિયા બનાવ્યા અને રેકર્ડમાં છેડછાડ કરી હતી. અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ બાદ ગુજરાત હાઇકોર્ટે પણ પુલકિતને લેટેસ્ટ ફરિયાદમાં આગોતરા જામીન આપવા ઇનકાર કર્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 3:58 pm

ઉદ્યોગપતિના પુત્ર અને એક મહિલાએ પણ દારૂ પીધો હોવાનો ખુલાસો:મહિલાના બ્લડ સેમ્પલમાંથી સૌથી વધુ માત્રામાં આલ્કોહોલ મળ્યો, સુરતની 'VIP દારૂ મહેફિલ'નો મામલો

સુરતના વેસુ વિસ્તારના પોશ ગણાતી જી. ડી. ગોએન્કા સ્કૂલ પાસે કે. એસ. અંતરવન રેસ્ટોરન્ટ નજીક 16 ઓક્ટોબરની મોડીરાતે 'VIPની દારૂ મહેફિલ' શરૂ થાય એ પહેલાં જ અલથાણ પોલીસે દરોડો પાડતાં માહોલ ગરમાયો હતો. ત્યારે હવે ઉદ્યોગપતિ સમીર શાહ અને તેમના પરિવારની મુશ્કેલીઓ વધી છે. અલથાણ પોલીસ દ્વારા લેવામાં આવેલા બ્લડ સેમ્પલનો ગાંધીનગર FSL રિપોર્ટ સામે આવ્યો છે, જેણે આ સમગ્ર કેસમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ રિપોર્ટ દ્વારા સાબિત થયું છે કે, માત્ર સમીર શાહે જ નહીં, પરંતુ તેમના પુત્ર અને પરિવારની એક મહિલાએ પણ દારૂનું સેવન કર્યું હતું. પતિ-પુત્ર કરતાં પરિવારની મહિલાના બ્લડમાં વધુ આલ્કોહોલ મળ્યો છે. સૌથી વધારે આલ્કોહોલની માત્રા એક મહિલાના બ્લડમાંગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ વિભાગના કેમિકલ નિષ્ણાંતના રિપોર્ટ અનુસાર, સમીર શાહ, પરિવારની એક મહિલા અને પુત્ર જૈનમ શાહ ત્રણેયના બ્લડમાં ઇથાઇલ આલ્કોહોલની માત્રા મળી આવી છે. સૌથી ગંભીર બાબત એ છે કે રિપોર્ટ મુજબ, ત્રણેયમાં સૌથી વધારે આલ્કોહોલની માત્રા એક મહિલાના બ્લડમાં હતી. આ પણ વાંચો: 'VIPની દારૂ મહેફિલ' પહેલાં રેડ, પોલીસ સાથે મારામારી: VIDEO રિપોર્ટમાં નોંધાયેલા આલ્કોહોલની માત્રા આ FSL રિપોર્ટે નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરના પ્રાથમિક અહેવાલને સંપૂર્ણપણે ખોટો સાબિત કર્યો છે, જેમાં જૈનમ શાહ અને એક મહિલાએ દારૂ પીધો ન હોવાનું અને માત્ર સમીર શાહે જ દારૂ પીધો હોવાનું જણાવાયું હતું. પોલીસ સાથે ઝપાઝપી અને ગુનો દાખલ ન થવા પર શંકાબાતમી મળતાં અલથાણ પોલીસની ટીમ હોટલ પર પહોંચી ત્યારે જૈનમ શાહ કારમાં દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેને બહાર નીકળવાનું કહેતાં માથા ફરેલા જૈનમ શાહે પોલીસ સાથે ઝપાઝપી કરી હુમલો કર્યો હતો. આ સમયે એક મહિલાએ પણ પોલીસ સાથે માથાકૂટ કરી હતી, જેનો વીડિયો પણ પોલીસ પાસે ઉપલબ્ધ છે. સૌથી વધુ દારૂ પીધેલી હાલતમાં હોવા છતાં અને વીડિયોમાં માથાકૂટ સ્પષ્ટ દેખાતી હોવા છતાં, અલથાણ પોલીસે મહિલા સામે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે કરેલી ઝપાઝપી સંદર્ભનો કોઈ ગુનો દાખલ કર્યો નથી. આનાથી અલથાણ પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની સગવડિયા નીતિ અને કેસને દબાવવાના પ્રયાસો સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસને સમીર શાહ અને એક મહિલાએ લિકર પરમિટ હોવાનું જણાવ્યું છે. જોકે, પીઆઈ દિવ્યરાજ ચૌહાણે કહ્યું કે, તેઓ હાલમાં પરમિટની ચકાસણી કરી રહ્યા છે અને સીસીટીવી ફૂટેજ એકત્ર કરીને પરિવાર ઘરેથી ક્યારે નીકળ્યો અને હોટલ ક્યારે પહોંચ્યો તેની તપાસ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 3:56 pm

પોરબંદર-માધવપુરમાં 15-16 નવેમ્બરે એકતા પદયાત્રા યોજાશે:કલેક્ટરે નાગરિકો, વેપારીઓ અને સંસ્થાઓને આ કાર્યક્રમમાં જોડાવા અપીલ કરી

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે પોરબંદર જિલ્લામાં બે દિવસીય એકતા પદયાત્રાનું આયોજન કરાયું છે. આ પદયાત્રા પોરબંદર અને કુતિયાણા વિધાનસભા મતવિસ્તારમાં અનુક્રમે 15 અને 16 નવેમ્બર, 2025ના રોજ યોજાશે. આ પદયાત્રાનો મુખ્ય હેતુ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સ્વદેશીનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો છે. જિલ્લા કલેક્ટરે નાગરિકો, વેપારીઓ અને સંસ્થાઓને આ કાર્યક્રમમાં જોડાવા અપીલ કરી છે. પ્રથમ પદયાત્રા પોરબંદર વિધાનસભા મતવિસ્તારમાં શનિવાર, તા.15 નવેમ્બર, 2025ના રોજ સાંજે યોજાશે. કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા સાંસદ મનસુખભાઈ માંડવીયા આ પદયાત્રામાં જોડાશે. નાગરિકો, આગેવાનો અને હોદ્દેદારોને બપોરે 3:30 કલાકે કનકાઈ માતાના મંદિર, ચોપાટી ખાતે એકત્ર થવા જણાવાયું છે. આ એકતા પદયાત્રા સાંજે 4:00 કલાકે કનકાઈ માતાના મંદિર, ચોપાટીથી શરૂ થશે અને અંદાજિત ૭ થી ૮ કિલોમીટરનું અંતર કાપશે. તે કલેક્ટર બંગલો, પેરેડાઈઝ સર્કલ, હાર્મની સર્કલ, એમજી રોડ, સુદામા ચોક, ડ્રીમલેન્ડ સિનેમા, માણેક ચોક, કીર્તિ મંદિર થઈ શીતળા ચોક પહોંચશે. ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલ રોડ પર ભાવના ડેરી, અંબિકા સ્વીટ, હનુમાન ગુફા, બ્રહ્મ સમાજની વાળી થઈને રેલવે સ્ટેશન સર્કલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે સમાપ્ત થશે. પદયાત્રાના રૂટ પર વિવિધ સ્થળોએ સ્વાગત કાર્યક્રમો, પ્લેટફોર્મ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. લોકોની સુવિધા માટે પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાંદિપની વિદ્યાનિકેતન, નવરંગ સંગીત સાહિત્ય કલા પ્રતિષ્ઠાન, ગ્રીન પોરબંદર, JCI પોરબંદર, સંસ્કાર ભારતી, રોટરી ક્લબ, ચેમ્બર ઓફ કોમર્સ, ખારવા સમાજ, અંજુમન ઇસ્લામ સમાજ, વાલ્મિકી સમાજ, હિતેષભાઈ લાખાણી (ટિફિન સેવા) સહિતની અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ વિવિધ સ્થળોએ પદયાત્રાનું સ્વાગત કરશે. બીજી પદયાત્રા કુતિયાણા વિધાનસભા મતવિસ્તાર માટે રવિવાર, તા.16 નવેમ્બર,2025ના રોજ સાંજે 4:00 કલાકે યોજાશે. આ પદયાત્રા મૂળ માધવપુરથી શરૂ થશે અને તેની આસપાસના ગામો તેમજ કુતિયાણા અને પોરબંદર તાલુકાના ગ્રામજનો તેમાં જોડાશે. આ બંને પદયાત્રામાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને સંસ્થાઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. પોરબંદર કલેક્ટરે જિલ્લાના અધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓને 15 અને 16 નવેમ્બરના કાર્યક્રમ માટે જરૂરી તૈયારીઓ કરવા માર્ગદર્શન પણ આપ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 3:47 pm

પ્રણામી એકેડેમીમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ:'પ્રણામી રેડ' ટીમને હરાવી 'પ્રણામી બ્લુ' ટીમ ચેમ્પિયન, કૃષ્ણમણિજી મહારાજે ટ્રોફી એનાયત કરી

જામનગરની જાણીતી પ્રણામી ક્રિકેટ એકેડેમીના ખેલાડીઓ વચ્ચે દિવાળી વેકેશન દરમિયાન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 30-30 ઓવરની આ ટૂર્નામેન્ટમાં કુલ પાંચ ટીમો વચ્ચે લીગ સિસ્ટમથી મેચ રમવામાં આવ્યા હતા, જેમાં 'પ્રણામી રેડ' અને 'પ્રણામી બ્લુ' ટીમ વચ્ચે ફાઇનલ રમાયો હતો. ફાઇનલ મેચના આરંભમાં ટોસ ઉછાળવા માટે જાણીતી શિપિંગ કંપની વેલજી પી. એન્ડ સન્સના માલિક અશ્વિન સિંધવ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ઇનામ વિતરણ સમારોહમાં ખીજડા મંદિરના મહંત કૃષ્ણમણિજી મહારાજ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમની નિશ્રામાં ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે જામનગર રાજવી પરિવારના નિતાકુમારીબા જાડેજા, બીસીસીઆઈની એપેક્સ બોડીમાં વરણી પામેલા ભૂતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડી નરેન્દ્ર જાડેજા, અન્ય ભૂતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડી કશ્યપ મહેતા અને પ્રણામી ગ્લોબલ સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર તનેજા સહિતના મહાનુભાવો પણ જોડાયા હતા. સમગ્ર ટુર્નામેન્ટમાં કુલ બાર મેચ રમાયા હતા અને દરેક મેચના મેન ઓફ ધ મેચના ઈનામો આપવામાં આવ્યા હતા. ફાઇનલ મેચ ખૂબ જ રસપ્રદ રહ્યો હતો, જેમાં છેલ્લી ઓવરમાં પ્રણામી બ્લુ ટીમે વિજય મેળવી ચેમ્પિયન બની હતી. જ્યારે પ્રણામી રેડ ટીમ રનર્સ અપ રહી હતી. કૃષ્ણમણિજી મહારાજના હસ્તે ચેમ્પિયન્સ ટ્રોફી પ્રણામી બ્લુના કેપ્ટન રણજીત બારૈયાને અને રનર્સ અપ ટ્રોફી પ્રણામી રેડના કેપ્ટન વિરાટ આંબલીયાને એનાયત કરવામાં આવી હતી. ફાઇનલ મેચના મેન ઓફ ધ મેચ ધૈર્ય કટારમલ બન્યા હતા. ટુર્નામેન્ટના બેસ્ટ બેટ્સમેન મનન જોશી અને બેસ્ટ બોલર તરીકે પરીન કણજારીયા જાહેર થયા હતા. આ ટુર્નામેન્ટમાં સદી ફટકારનાર એકમાત્ર ક્રિકેટર વિરાટ આંબલીયા 'પ્લેયર ઓફ ધ સિરીઝ' બન્યા હતા. આ પ્રસંગે કૃષ્ણમણિજી મહારાજે પોતાના વક્તવ્યમાં વિજેતાઓને બિરદાવ્યા અને આશીર્વચન પાઠવ્યાં હતા. તેમણે આ આયોજન બદલ એકેડેમીના કોચ નરેન્દ્ર રાયઠઠા, જયપાલસિંહ જાડેજા તેમજ પંકજ વાણીયાને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટમાં અમ્પાયર તરીકે મીલનભાઈ અકબરી અને જયેશભાઈ જેઠવાએ સેવા આપી હતી. કાર્યક્રમના અંતે કુ. હીરવા રાયઠઠાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાલીગણ અને એકેડેમીના જુનિયર અને સિનિયર ખેલાડીઓએ હાજર રહીને તમામ ક્રિકેટ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 3:46 pm

રીઢા આરોપીઓ ઝડપાયા:18 દિવસમાં ચેઇન સ્નેચિંગ, ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુનાઓને અંજામ આપનારા 4ની ધરપકડ, રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત

વડોદરા શહેરમાં છેલ્લા 18 દિવસમાં ચેઇન સ્નેચિંગ, ઘરફોડ ચોરી અને વાહન ચોરી જેવા ગુનાઓ આચરનાર 4 રીઢા આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે અને 1.54 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ મુદ્દામાલના આધાર-પુરાવા રજૂ કરી શક્યા નહોતાવડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન પાણીગેટ વિસ્તારમાં આજબડી મીલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 3 બાઇક પર આવતા 4 શખ્સને કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી લક્ષ્મી માતાની આકૃતિવાળા 15 ચાંદીના સિક્કા, 10 હજાર રૂપિયા રોકડા અને 3 બાઇક મળી આવી હતી. આરોપીઓ આ મુદ્દામાલના આધાર-પુરાવા રજૂ કરી શક્યા નહોતા અને તેઓ અગાઉ પણ મિલ્કત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળતાં સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં આરોપીઓએ દંતેશ્વરમાં વહેલી સવારે મહિલાની સોનાની ચેઇન સ્નેચિંગ કરવાનો, પ્રતાપનગર રેલ્વે કોલોનીમાં બંધ મકાનમાં ઘરફોડ ચોરીનો, સમા ગામમાં ઘરફોડ ચોરી અને ફતેગંજ બ્રિજ નીચેથી બાઈક ચોરીના ગુનાઓ કબૂલ કર્યા હતા. ચોરીના સોનાના દાગીના સંજય સોની નામના વ્યક્તિને વેચાયા હોવાનું પણ સામે આવ્યું છે. આ ગુનાઓ મકરપુરા, સમા અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસચારેય આરોપીઓ રીઢા ગુનેગાર છે અને અગાઉ ચોરી, ઘરફોડ, જુગાર સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. અજય મારવાડી એક વખત પાસા હેઠળ પણ ગયો છે. પકડાયેલ આરોપીઓ સચીનસિંગ શિવાસિંગ ટાંક(ઉં.વ. 25), વારસીયા, વિમા દવાખાના પાછળ, ખારી તળાવડી, વડોદરા. અજય રમેશભાઈ મારવાડી (ઉં.વ. 26), એકતાનગર ઝુપડપટ્ટી, આજવા રોડ, વડોદરા. સન્નીસિંગ ઉર્ફે ટોન દર્શનસિંગ દુધાણી (ઉં.વ. ૨૪), વારસીયા, ખારી તળાવડી ઝુપડપટ્ટી, વડોદરા. કરણસિંગ ઉર્ફે વિઠ્ઠલ દર્શનસિંગ દુધાણી (ઉં.વ. ૨૬), વારસીયા, ખારી તળાવડી ઝુપડપટ્ટી, વડોદરા. વોન્ટેડ આરોપી: અજય દર્શનસિંગ દુધાણી, વારસીયા, ખારી તળાવડી ઝુપડપટ્ટી, વડોદરા. કબજે કરાયેલ મુદ્દામાલ ચાંદીના સિક્કા: 15 રોકડ: 10 હજાર 3 બાઈક, રૂ. 1,20,000

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 3:42 pm

ઊનાના MLA પર ગંભીર આક્ષેપો સાથેના પત્ર મામલે તપાસ:જૂનાગઢ જેલના જેલરે કહ્યું- આરોપીને બોલાવી નિવેદન લેવાશે, પત્ર જેલમાંથી લખાયો છે કે કેમ? તે તપાસનો વિષય

​જૂનાગઢ જિલ્લા જેલમાં ગુજસીટોક હેઠળ કેદ કુખ્યાત બુટલેગર ભગુ ઉકાભાઈ જાદવ દ્વારા ઉનાના ધારાસભ્ય કાળુ ચનાભાઈ રાઠોડને સંબોધીને એક પત્ર લખવામાં આવતા રાજકારણ અને વહીવટી તંત્રમાં ભારે ગરમાવો આવ્યો છે. દારૂના ધંધાના હિસાબ સ્પષ્ટ કરવાના વિષય સાથે લખાયેલા આ પત્રમાં ધારાસભ્ય પર ખુલ્લેઆમ ગેરકાયદેસર ધંધામાં ભાગીદારીના આક્ષેપો કરાયા છે. આ પત્રમાં ભગા જાદવે દાવો કર્યો છે કે, ધારાસભ્યના કહેવાથી અને તેમના વિશ્વાસ પર તેણે આ ધંધો કર્યો હતો, જેમાં ધારાસભ્ય તેના બરાબરના ભાગીદાર હતા. હાલમાં આ લેટર કોણે અને ક્યારે લખ્યો તે સહિતની બાબતે જૂનાગઢ જેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીને બોલાવી તેનું નિવેદન લેવામાં આવશેઃ ​જૂનાગઢ જેલરજૂનાગઢ જેલના અધિકારી ડી.એમ. ગોહેલે તાત્કાલિક તપાસના આદેશ આપતા જણાવ્યું કે, આ લેટર મીડિયા મારફત જાણવા મળ્યો હતો. આ લેટર બે-ત્રણ મહિના પહેલાંનો હોઈ શકે છે. પત્ર જેલમાંથી લખાયો છે કે નહીં? તે અંગે તપાસ ચાલુ છે. જે લેટર સંબંધિત છે, એમાં લેટર કેવી રીતના ગયો છે? કોને લખ્યો છે? અને કેવી રીતના બહાર ગયો? જેલમાંથી લખેલો છે કે નથી લખેલો? કે પછી બહારથી લખેલો છે? કે કોના મારફત લખેલો છે? કે જેલને બદનામ કરવા માટે કોઈ બીજી પ્રવૃત્તિ થઈ છે? તે સંપૂર્ણ તપાસ હવે આગળ કરવામાં આવશે. તપાસના ભાગરૂપે આરોપી ભગા જાદવને બોલાવવામાં આવશે અને તેનું નિવેદન લેવામાં આવશે. આરોપી જે કહેશે તેના સ્ટેટમેન્ટ ઉપર આગળ વધવામાં આવશે અને સંપૂર્ણ અહેવાલ વડી કચેરી ખાતે મોકલવામાં આવશે. ​દારૂના ધંધાના બાકી હિસાબ સ્પષ્ટ કરવા લેટરમાં ઉલ્લેખ​પત્રમાં ભગુ જાદવે ધારાસભ્યને સંબોધીને સ્પષ્ટ જણાવ્યું છે કે, તેઓ હાલ જૂનાગઢ જેલમાં સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC) દ્વારા ગીર ગઢડાના બેડીયા ગામે પાડવામાં આવેલી રેડના ગુનામાં કેદ છે. ભગા જાદવે દાવો કર્યો કે, દારૂના આ ધંધામાં યોગેશ કરણાભાઈ રાઠોડ (સનખડા ગામના રહેવાસી અને હાલ જૂનાગઢ જેલમાં) અને સનખડા ગામના સરપંચ રવિ રાઠોડ પણ ભાગીદાર હતા. પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, દમણથી મંગાવેલા દારૂના આ ધંધાનો હિસાબ ધારાસભ્ય સાથે સમજવાનો બાકી છે. ભગા જાદવે જણાવ્યું કે, તેઓ લોકોએ સાથે મળીને 13થી વધારે દારૂના કેસ દમણથી મંગાવ્યા હતા. ​₹.29 લાખ બાકી હોવાનો પત્રમાં દાવો​ભગુ જાદવે ધારાસભ્યને વિગતો આપતા જણાવ્યું કે, આ હિસાબમાંથી યોગેશભાઈ કરણાભાઈ રાઠોડને સરપંચની ચૂંટણી દરમિયાન દોઢથી બે લાખનો દારૂ આપેલ અને સરપંચ રવિ રાઠોડ પાસેથી ₹29,00,000 (29 લાખ) લેવાના પણ બાકી છે. પત્રમાં બાંયધરી આપવામાં આવી છે કે જ્યારે તેઓ આ કેસમાંથી જામીન પર છૂટશે, ત્યારે તે પોતે યોગેશભાઈ રાઠોડ અને સરપંચ રવિ રાઠોડ સાથે મળીને ધારાસભ્ય પાસે આવીને ઉપરનો બધો હિસાબ પરત આપી દેશે. પત્ર લખનાર ભગુ જાદવે આ મોડું થવાનું કારણ તેમના માતાનું દુઃખદ અવસાન થતાં થોડો સમય મોડું થયેલું હોવાનું જણાવ્યું છે. ​દરિયાઈ માર્ગે દારૂ ઉતારવાના ગંભીર આક્ષેપો​પત્રમાં માત્ર બેડીયા ગામની રેડ જ નહીં, પરંતુ ભૂતકાળમાં દરિયાઈ માર્ગે ચાલતા દારૂના ધંધાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં ધારાસભ્યની ભાગીદારી હોવાનો દાવો છે. ભગા જાદવે જણાવ્યું કે આ બનાવ પહેલાં દારૂ દરિયાઈ માર્ગથી દમણથી આવતો હતો અને ઉના તાલુકાના રાજપરા બંદર, નવા બંદર અને ફિગરબંદર ઉપર ઉતારવામાં આવતો હતો. આ ધંધામાં ખાણ અંજાર ગામના વિજયભાઈ ડેગણ પરમાર પણ ભાગીદાર હતા. પત્ર મુજબ, આ દારૂના ધંધાનો હિસાબ વિજયભાઈ સાથે સમજી લેવામાં આવ્યો હતો અને હોળીના ₹1,00,000 પણ આપેલ હતા. ​ગુજસીટોકમાં ફસાવવા અને પત્નીને હેરાન કરવાનો આરોપ​પત્રના અંતે ભગુભાઈ જાદવે ધારાસભ્ય પર વિશ્વાસઘાતનો સૌથી મોટો આક્ષેપ લગાવ્યો છે. તેમણે લખ્યું છે કે, આપ ધારાસભ્યોને નિવેદન કે તમે અમને લોકોને આવા ગંભીર ગુનામાં ફસાવી (ગુજસીટોક) દીધેલ છે. અમે લોકોએ તમારા ઉપર ખૂબ જ વિશ્વાસ રાખ્યો હતો પણ તમે તો મને અને મારા ભાઈઓને આ ગંભીર ગુનામાં ફસાવી દીધા છે. આ ઉપરાંત, ભગા જાદવે કોડીનારમાં તેની પત્નીનું નામ પણ કેસમાં લખાવી દીધું હોવાનો આક્ષેપ કર્યો છે અને વિનંતી કરી છે કે જ્યાં સુધી તેઓ ઘરે ન આવે ત્યાં સુધી તેમના પરિવારના લોકોને હેરાન ન કરવામાં આવે. તેમણે મિલકત અને ઘરેણાં વેચીને પણ હિસાબ પૂરો કરી દેવાની અને ઉના ગામ મૂકીને ચાલ્યા જવાની તૈયારી દર્શાવી છે, પરંતુ ત્યાં સુધી જેલમાં શાંતિથી રહેવા દેવાની વિનંતી કરી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 3:42 pm

સરદાર પટેલના સંકલ્પને 79 વર્ષ પૂર્ણ:સોમનાથ મંદિરના પુનઃનિર્માણ દિનની ભક્તિમય ઉજવણી

સોમનાથમાં આજે 13 નવેમ્બર 1947ના ઐતિહાસિક દિવસની યાદ તાજી કરવામાં આવી હતી. આ દિવસે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ પધાર્યા હતા. તેમણે મંદિરના જીર્ણ અવશેષો જોઈ સમુદ્રજળ હાથમાં લઈને સોમનાથ ધામના પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પને આજે 79 વર્ષ પૂર્ણ થતા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉજવણી કરવામાં આવી. સંકલ્પ દિન નિમિત્તે, ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર, ટ્રસ્ટ પરિવાર, પુરોહિતો અને સેવાર્થીઓએ સોમનાથ તીર્થ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. તેમણે સરદાર પટેલના અવિસ્મરણીય યોગદાનને યાદ કર્યું. આ પછી શ્રી સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. મંદિરમાં મહાદેવની મહાપૂજા પવિત્ર દ્રવ્યો દ્વારા કરવામાં આવી. પુરોહિતોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે અભિષેક, પૂજન અને વિશેષ વિધિઓ સંપન્ન કરી. આ પૂજનવિધિમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. આજના સંકલ્પ દિન નિમિત્તે સાંજે મહાદેવને વિશેષ સાયંશૃંગાર ધારણ કરાવવામાં આવશે. મંદિર પરિસરમાં દીપમાળાનો ઝળહળાટ પણ કરવામાં આવશે. આ દિવસ સોમનાથ ધામમાં ભક્તિ, ઇતિહાસ અને આસ્થાના વાતાવરણથી ભરેલો રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 3:39 pm

હેક્ટર દીઠ 22000ની સહાય માટે આવતીકાલથી ખેડૂતો અરજી કરી શકશે:આ લિંક પર ક્લિકથી થશે અરજી, જાણો 10 હજાર કરોડના પેકેજનો લાભ લેવાની A TO Z પ્રોસેસ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ધરતીપુત્રોને સહાય પેકેજનો લાભ મેળવવા માટે 14મી નવેમ્બર શુક્રવાર બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઇન અરજી પોર્ટલ કાર્યરત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના અસાધારણ કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે પડખે ઊભા રહીને ઐતિહાસિક રાહત સહાય પેકેજ જાહેર કરેલુ છે. આ ઐતિહાસિક રાહત સહાય પેકેજ અંતર્ગત 9,815 કરોડ રૂપિયા ધરતીપુત્રોને થયેલા નુકસાનની સહાય પેટે ફાળવવામાં આવ્યા છે. https://krp.gujarat.gov.in પોર્ટલ પર ખેડૂતોને અરજી કરવા માટે VCE/VLE મદદરૂપ થશે. વરસાદથી થયેલા નુકસાનનો સર્વે-પંચ રોજકામ, મંત્રીઓની અસરગ્રસ્ત જિલ્લાના ખેડૂતો સાથે પ્રત્યક્ષ મુલાકાત અને કૃષિ વિભાગ, મહેસુલ વિભાગ, નાણાં વિભાગ સહિત સંબંધિત વિભાગો સાથે સતત ઉચ્ચ સ્તરિય બેઠકો યોજીને પેકેજની જાહેરાત અને ઠરાવ થવા સુધીની સમગ્ર વહિવટી પ્રક્રિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન એક અઠવાડિયામાં જ પૂરી કરી દેવાના કિસાન હિતકારી અભિગમને કૃષિ મંત્રીએ વધાવ્યો છે. તેમણે બનાસકાંઠાના વાવ-થરાદ સહિત પાંચ જિલ્લાઓમાં અગાઉ થયેલા કમોસમી વરસાદના અસરગ્રસ્તોને પણ પિયત-બિનપિયત સમાન ધોરણે 22 હજાર પ્રતિ હેક્ટર બે હેક્ટરની મર્યાદામાં સહાય જાહેર કરીને રાજ્યના ખેડૂતો પર આવી પડેલી આફતમાં 11 હજાર 137 કરોડનું રાહત સહાય પેકેજ આપવાનો જે સંવેદનશીલ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે તે માટે પણ ખેડૂત સમાજ વતી આભાર વ્યક્ત કર્યો છે. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારના કૃષિ વિભાગે જાહેર કરેલા રાહત પેકેજ ઠરાવની જાહેરાત કરતાં કહ્યું કે, આ પેકેજનો લાભ મેળવવા માટે 14 નવેમ્બર, શુક્રવાર બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઈન પોર્ટલ કાર્યરત કરાશે. આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કૃષિ રાહત પેકેજ-KRP પોર્ટલ Link: https://krp.gujarat.gov.in પર ગ્રામ પંચાયતના VCE/VLE મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમ કૃષિમંત્રીએ જણાવ્યું હતું. * તેમણે વધુમાં ઉમેર્યુ કે, ઠરાવ મુજબના સાધનિક કાગળો સાથે નિયમાનુસાર પાત્રતા ધરાવતા ખેડુતો દ્વારા VCE/VLE મારફત અરજી કરવાની રહેશે.* ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવા માટે કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહી.* આ પેકેજ અંતર્ગત ખેડૂતોને સહાય PFMS/RTGS મારફત DBT પદ્ધતિથી લાભાર્થીના બેન્ક ખાતામાં સીધી જમા કરવામાં આવશે.* આ માટે 16500થી વધુ ગામોનું ઓનલાઈન અરજી માટે પોર્ટલ સાથે મેપિંગ કરવામાં આવશે. કૃષિમંત્રીએ એમ પણ જણાવ્યું કે, નિયમાનુસાર પાત્રતા ધરાવતી અરજીઓ જેમ જેમ આવતી જશે તેમ તેમ તેની ચકાસણી બાદ તાત્કાલીક સહાય ચુકવણા માટેની કાર્યવાહી કરવામાં આવશે. જરૂર જણાયે પોર્ટલ પર અરજી કરવાની સમય મર્યાદામાં વધારો કરવા પણ રાજ્ય સરકાર સકારાત્મક અભિગમ ધરાવે છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 3:32 pm

રાહી ફાઉન્ડેશને મેલાસણામાં 500થી વધુને કપડાં આપ્યા:જરૂરિયાતમંદ પરિવારોને પેન્ટ-શર્ટ, સાડી અને બાળકોના વસ્ત્રોનું વિતરણ કરાયું

રાહી ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના મેલાસણા ગામમાં 500થી વધુ જરૂરિયાતમંદ લોકોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણમાં પેન્ટ-શર્ટ, સાડી-બ્લાઉઝ, પંજાબી ડ્રેસ અને બાળકોના કપડાંનો સમાવેશ થતો હતો. આ કાર્યક્રમનું સંચાલન રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, શરદ જાદવ, વિજય દલાલ અને માર્કંડભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.સમગ્ર વિતરણ કાર્યક્રમનું સંકલન ભરત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 3:32 pm

ક્રિએટર્સ સંગા ઇન્ફ્લુએન્સર્સ મીટ સંપન્ન:અમદાવાદમાં ડિજિટલ ક્રિએટર્સે સકારાત્મક બદલાવ પર ચર્ચા કરી

હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા 11 અને 12 નવેમ્બર, 2025ના રોજ ક્રિએટર્સ સંગા ઇન્ફ્લુએન્સર્સ મીટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીમાં સકારાત્મકતા, જાગૃતિ અને સર્જનાત્મક જવાબદારી વધારવાનો હતો. દેશભરના 50થી વધુ લોકપ્રિય ડિજિટલ ક્રિએટર્સ, કલાકારો અને કન્ટેન્ટ મેકર્સ આ પ્રસંગે એકઠા થયા હતા. મીટ દરમિયાન, સહભાગીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી દેશ અને સમાજમાં સકારાત્મક પરિવર્તન કેવી રીતે લાવી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી. કાર્યક્રમની શરૂઆત મંદિર ખાતે વિવિધ ઇમર્સિવ સેશનથી થઈ, જ્યાં ક્રિએટર્સે વ્યક્તિગત જવાબદારી, વિચારશીલ સર્જનાત્મકતા, યુવા સશક્તિકરણ અને સમાજમાં તેમના યોગદાન જેવા મુદ્દાઓ પર મનોમંથન કર્યું. ક્રિએટર્સ વિથ કોન્શિયસનેસ સેશન દ્વારા શ્રી રસા પારાયણ દાસ અને પર્પઝ-ડ્રિવન ક્રિએટિવિટી સેશન દ્વારા શ્રી વિરુપક્ષ દાસે ક્રિએટર્સને પ્રેરણા આપી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ પોતાની ઑનલાઇન પહોંચનો ઉપયોગ માત્ર મનોરંજન માટે નહીં, પરંતુ દેશના હિત અને સાંસ્કૃતિક મૂલ્યોને મજબૂત કરવા માટે પણ કરી શકે છે. બીજા દિવસે, ભાગ લેનારાઓને માધવાસ ઇકો વિલેજની મુલાકાત કરાવવામાં આવી. અહીં તેમણે વૃક્ષારોપણ, નેચર વૉક, ગૌશાળા દર્શન અને ઓર્ગેનિક ફાર્મિંગ જેવા પ્રકૃતિ સાથે જોડાયેલા પ્રયોગોનો અનુભવ કર્યો. ક્રિએટર્સે ફાર્મ-ફ્રેશ સાત્વિક ભોજનનો સ્વાદ માણ્યો અને પર્યાવરણ સંરક્ષણ અંગે ઊંડાણપૂર્વક સમજણ મેળવી. આ ઉપરાંત, માધવાસ બેકરીમાં ક્રિએટર્સે નો-મૈદા અને નો-પામ તેલ જેવા સ્વસ્થ ઉત્પાદનો બનાવવાનો વ્યવહારિક અનુભવ મેળવ્યો. ત્યારબાદ, અક્ષય પાત્ર ફાઉન્ડેશનની મેગા કિચનની મુલાકાત દરમિયાન, તેઓએ જોયું કે કેવી રીતે દિવસના બે લાખથી વધુ બાળકો માટે તાજું અને પૌષ્ટિક ભોજન માત્ર થોડા કલાકોમાં તૈયાર કરવામાં આવે છે. 12 નવેમ્બરની સાંજે દ્વારકા પેલેસ ખાતે યોજાયેલી ક્લોઝિંગ સેરેમનીમાં ક્રિએટર્સે પોતાના અનુભવો શેર કર્યા. આ પ્રસંગે, વિશિષ્ટ પ્રદર્શન કરનારા ક્રિએટર્સને સન્માનિત કરવામાં આવ્યા. મંદિરના નેતાઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે જાગૃતતા ધરાવતા ક્રિએટર્સ દેશમાં મૂલ્ય આધારિત ડિજિટલ સંસ્કૃતિ સર્જવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. કાર્યક્રમના એક સંચાલકે જણાવ્યું, ક્રિએટર્સ સંગા માત્ર એક ઇવેન્ટ નહોતું—એક ચળવળ હતી. સર્જનાત્મકતા જ્યારે જાગૃતતાથી જોડાય છે ત્યારે તે રાષ્ટ્રીય વિકાસ અને સાંસ્કૃતિક પુનર્જાગરણ માટે શક્તિશાળી સાધન બની જાય છે. કાર્યક્રમ પૂર્ણ થયા પછી, ઘણા ક્રિએટર્સે પર્યાવરણ રક્ષણ, દયા, સામાજિક જવાબદારી અને રાષ્ટ્રભાવના જેવા મૂલ્યોને પ્રોત્સાહિત કરવા માટે પોતાના પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 3:30 pm

વસ્ત્રાલના હર્ષિલ પટેલે ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું:શ્રી શંકર વિદ્યાલયના વિદ્યાર્થી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામ્યા

વસ્ત્રાલ સ્થિત શ્રી શંકર વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ 9ના વિદ્યાર્થી હર્ષિલ પટેલે ખેલ મહાકુંભ 2025માં જિલ્લા કક્ષાની અંડર-17 સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ હર્ષિલની રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે. આ સિદ્ધિના સન્માનમાં શાળામાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય સિધ્ધાર્થ પ્રજાપતિએ હર્ષિલને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, શ્રી શંકર વિદ્યાલય શિક્ષણ અને રમત-ગમત, બંને ક્ષેત્રે વિદ્યાર્થીઓને સમર્થન અને પ્રોત્સાહન પૂરું પાડે છે. પ્રિન્સિપાલે હર્ષિલની મહેનતની પ્રશંસા કરતા જણાવ્યું કે તેમને વિશ્વાસ છે કે હર્ષિલ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ સારું પ્રદર્શન કરશે અને વસ્ત્રાલનું નામ રોશન કરશે. આ સન્માન સમારોહમાં શાળાના તમામ શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષિલ પટેલે પોતાની સફળતા માટે શાળા ટ્રસ્ટી, પ્રિન્સિપાલ અને ગુરુજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળા પરિવાર હર્ષિલ પટેલને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવે છે અને આશા રાખે છે કે તે રાષ્ટ્રીય સ્તર પર પણ પોતાની ઓળખ બનાવશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 3:26 pm

સાંતલપુર કોલેજમાં બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવાઈ:વિદ્યાર્થીઓએ વક્તૃત્વ, નિબંધ, ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો

સરકારી વિનયન કોલેજ, સાંતલપુર ખાતે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સરકાર દ્વારા 1 નવેમ્બર, 2025 થી 15 નવેમ્બર,2025 દરમિયાન આદિવાસી મહાનાયક બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે કોલેજમાં વક્તૃત્વ, નિબંધ અને ચિત્રકળા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓ બિરસા મુંડાજીના જીવન, દેશહિત માટેના કાર્યો, ઇતિહાસ અને આદિવાસી પ્રજા માટેના તેમના પ્રયાસો જેવા વિષયો પર કેન્દ્રિત હતી. નિબંધ સ્પર્ધામાં સેમ.2 ના સુથાર કૌશિકભાઈએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે સોલંકી હિતેશ દ્વિતીય અને કોડ દયા તૃતીય સ્થાને રહ્યા હતા. ચિત્ર સ્પર્ધામાં આહીર માયા પ્રથમ અને સુથાર કૌશિક દ્વિતીય ક્રમે આવ્યા હતા. વક્તૃત્વ સ્પર્ધામાં કોડ દયા પ્રથમ, સુથાર કૌશિકભાઈ દ્વિતીય અને સોલંકી હિતેશ તૃતીય સ્થાન પર રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન સપ્તધારા પ્રવૃત્તિના કો-ઓર્ડિનેટર પ્રો. સુદાભાઈ આર. કટારા દ્વારા કરવામાં આવ્યું હતું. મુ. વ્યાખ્યાતા બહેનો આરતીબા, કલ્પના અને પ્રિયા વિવિધ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકેની જવાબદારી નિભાવી હતી. આચાર્ય ડૉ. રાજા એન. આયરના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો, જેમાં કોલેજના તમામ સ્ટાફ મિત્રો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સહયોગ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 3:24 pm

ભુજમાં શ્વાનોનું ખસીકરણ કરાશે:રૂ. 10 લાખની ગ્રાન્ટથી સમસ્યાનો ઉકેલ લાવશે, સામાન્ય સભામાં આ અંગેનો નિર્ણય લેવાયો

ભુજ નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા શ્વાનોની વધતી સંખ્યાને નિયંત્રિત કરવા માટે ખસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટે રૂ. 10 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેનો ઉપયોગ શ્વાનોના ખસીકરણ માટે કરવામાં આવશે. તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કચ્છ સહિત સમગ્ર દેશમાં રખડતા શ્વાનોની સમસ્યા પ્રજાજનો માટે મુશ્કેલીરૂપ બની રહી છે, જેની નોંધ દેશના સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા પણ લેવામાં આવી છે. ભુજ શહેરમાં પણ વિવિધ વિસ્તારો અને સોસાયટીઓમાંથી શ્વાનોના ત્રાસ અંગેની વ્યાપક ફરિયાદો મળી રહી હતી. ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ. 10 લાખનો ખર્ચ શ્વાનોના ખસીકરણની કામગીરી પાછળ કરવામાં આવશે. આ માટે ટૂંક સમયમાં ઓનલાઈન ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સમગ્ર કામગીરી દરમિયાન હાઈકોર્ટની અપીલનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે અને કોઈ પણ શ્વાનને પરેશાન ન થાય તેની તકેદારી રાખવામાં આવશે. આ પ્રયાસમાં કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ સહયોગ આપવાની ખાતરી આપી છે. જો શ્વાન ખસીકરણની આ કામગીરી સચોટ રીતે થશે, તો ભવિષ્યમાં ભુજ શહેરને શ્વાન સંબંધિત સમસ્યાઓમાંથી ઘણી રાહત મળવાની પૂરી સંભાવના છે. ખસીકરણ એટલે શું?જે પ્રક્રિયા વડે નર જાનવરોના વૃષણને અને માદા જાનવરોના અંડપિંડને બિનકાર્યક્ષમ (નિરુપયોગી) બનાવી દેવામાં આવે છે, તે પ્રક્રિયાને 'ખસી કરવું' કહે છે. ખસી કરવાથી નર જાનવરો મારકણા – ઉગ્ર ન થતાં નમ્ર બને છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 3:24 pm

રાજપૂત સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સેમિનાર યોજાશે:i-Hub અને રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ દ્વારા 15 નવેમ્બરે

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન હબ (i-Hub) અને રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ઇન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે એક સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પ્રોગ્રામ માહિતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર શનિવાર, 15 નવેમ્બર, 2025 ના રોજ બપોરે 2:45 થી સાંજે 6:00 વાગ્યા સુધી યોજાશે. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ, રોકાણકારો અને મહિલા ઉદ્યોગસાહસિકોને સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સંબંધિત વિવિધ યોજનાઓ અને સહાય વિશે માહિતગાર કરવાનો છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, રોકાણકારો અને મહિલા ઉદ્યોગકારો ઉપસ્થિત રહેશે.નિષ્ણાત સ્ટાર્ટઅપ ઇનોવેટર્સ અને રોકાણકારો દ્વારા વિવિધ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સહાય યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટેની SSIP (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી) યોજના અને i-Hub સેન્ટરની કામગીરી વિશે જાણકારી પૂરી પાડવામાં આવશે.આ સેમિનારમાં મુંબઈ, રાજસ્થાન, વડોદરા અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ પ્રદેશોમાંથી સ્ટાર્ટઅપ ઉદ્યોગસાહસિકો, ઇનોવેટર્સ અને રોકાણકારો હાજર રહેશે. તેઓ તેમના અનુભવો અને જ્ઞાન શેર કરશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 3:22 pm

સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ઇન્ટાસ સેન્ટર ઓફ એક્સલન્સ શરૂ:ફાર્મસી વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન અને ઔદ્યોગિક તાલીમ મળશે

સિલ્વર ઓક યુનિવર્સિટીના ફાર્મસી સ્કૂલમાં ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના સહયોગથી ઇન્ટાસ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના અધિકારીઓ, યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓ, પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નવા સેન્ટર ઓફ એક્સલન્સનો મુખ્ય હેતુ શૈક્ષણિક અને ઔદ્યોગિક ક્ષેત્ર વચ્ચેના અંતરને દૂર કરવાનો છે. તે ફાર્મસીના વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન, ઔદ્યોગિક તાલીમ અને સંશોધન ક્ષેત્રે વધુ તકો પૂરી પાડશે. આ સહયોગ હેઠળ વિદ્યાર્થીઓને આધુનિક તાલીમ, વર્કશોપ, ઉદ્યોગ સંબંધિત પ્રોજેક્ટ્સ અને ઇન્ટર્નશિપ જેવી વિવિધ તકો મળશે. આનાથી તેમની રોજગાર યોગ્યતા અને વ્યાવસાયિક કુશળતામાં વધારો થશે. યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું કે આ સહકાર ફાર્મસી શિક્ષણ ક્ષેત્રે નવી દિશા આપશે. તે આગામી પેઢીને ઉદ્યોગ માટે સજ્જ બનાવવામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. સમારંભનો સમાપન આભારવિધિ અને નવી સુવિધાઓની મુલાકાત સાથે થયો હતો.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 3:20 pm

PSSM અમદાવાદે શાકાહાર રેલી યોજી:ગાંધીઆશ્રમથી ઇન્કમટેક્સ સુધી 'જીવો અને જીવવા દો' સંદેશ

પિરામિડ સ્પિરિચ્યુઅલ સોસાયટીઝ મુવમેન્ટ (PSSM) અમદાવાદ દ્વારા સંસ્થાના પ્રણેતા બ્રહ્મર્ષિ પિતામહ પત્રીજીના જન્મોત્સવ નિમિત્તે શાકાહાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી 11 નવેમ્બર 2025 ના રોજ સવારે સાબરમતી ગાંધીઆશ્રમથી ઇન્કમટેક્સ નવજીવન ટ્રસ્ટ સુધી યોજાઈ હતી. આ રેલીમાં વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો અને સામાન્ય નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેઓએ વિવિધ બેનરો, પ્લેકાર્ડ અને સૂત્રો દ્વારા “જીવો અને જીવવા દો” તથા “શાકાહાર અપનાવો, જીવન બચાવો” જેવા સંદેશા આપ્યા હતા. રેલીનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ધ્યાન, શાકાહાર અને પિરામિડ જગત અંગે જાગૃતિ અને પ્રેરણા આપવાનો હતો. આ ઉપરાંત, લોકોને શાકાહાર ભોજન અપનાવવા પ્રોત્સાહિત કરીને પ્રકૃતિ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતતાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ શાકાહાર રેલીનો મુખ્ય હેતુ લોકોને પ્રકૃતિ અને જીવજાતિઓની સુરક્ષા માટે માંસાહારનો ઉપયોગ ટાળી શુદ્ધ અને સાત્વિક આહાર લઈ સ્વસ્થ જીવન જીવવાની જાગૃતિ પેદા કરવાનો હતો. PSSM અમદાવાદે શાકાહારને માત્ર ખોરાકની પસંદગી નહીં, પરંતુ જીવદયા, સ્વાસ્થ્ય અને પર્યાવરણના સંતુલનને પ્રાથમિકતા આપતી જીવનશૈલી તરીકે રજૂ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 3:18 pm

કેન્દ્રની ટીમ આવતા હોસ્પિટલ તંત્ર એલર્ટ:નેશનલ સર્ટિફિકેશન માટે સેન્ટ્રલ લેવલથી બે એસએસઆર ગ્રુપ ડોકટર વડોદરા આવી નિરીક્ષણ કર્યું, રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપવામાં આવશે

વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે કેન્દ્ર સરકારની ખાસ મુસ્કાન અને લક્ષ પ્રોગ્રામની ટીમ મુલાકાતે આવી હતી. જ્યાં સગર્ભા માતાઓ અને બાળકોની હોસ્પિટલ તરફથી આપવામાં આવતી સેવા સારવારનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આ ટીમે પ્રથમ ઓપીડી અને ત્યારબાદ ગાયનેક અને પીડીયાટ્રીક વિભાગમાં નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ બાદ તમામ રિપોર્ટ કેન્દ્ર સરકારને સુપ્રત કરવામાં આવશે. આ અંગે ડોક્ટર દર્શન કુકડિયાએ જણાવ્યું હતું કે, સરકાર તરફથી કોઈ પણ સર્વિસની ગુણવતા ચકાસવા માટે માપદંડની એક પદ્ધતિ હોય છે, જે અંતર્ગત લક્ષ્ય અને મુસ્કાન એમ બે પ્રોગ્રામ હોય છે. જેની અંદર સ્ટેટ લેવલ મૂલ્યાંકથી ક્લીયર કરેલ છે અને આજે નેશનલ સર્ટિફિકેશન માટે સેન્ટ્રલ લેવલથી બે એસએસઆર ગ્રુપ ડોકટર રૂપકુમાર બોયા અને સૌમ્યા મોહંતીએ એસેસમેન્ટ માટે એસએસજી હોસ્પિટલની મુલાકાત લીધી છે. વધુમાં કહ્યું કે, એસએસજીમાં માતા અને બાળકોની ગુણવત્તાસભર સેવાનું આંકલન કરવા માટે આવ્યા છે. જેઓ એસેસમેન્ટ કરી બાદમાં તેમના દ્વારા ત્રુટીઓ ખામીઓ હશે તો જણાવશે અને ખૂબીઓ અંગે જણાવશે. જેના આધારે એસએસજીમાં આગામી ફેરફાર કરવાનો પ્રત્યન કરાશે. જેથી એસએસજી હોસ્પિટલમાં આવતી તમામ માતાઓ અને બાળકોની યોગ્ય સાર સંભાળ ઉપરાંત બાળ મરણ, માતા મરણ અને રોગ બધી બાબતોને ધ્યાને લઈ સારી રીતે નિભાવણી કરી શકાય તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વધુમાં કહ્યું કે, મૂલ્યાંકનમાં સરકાર દ્વારા તૈયાર કરાયેલી એક ચેક લિસ્ટ હોય છે. તેના આધારે આઠ ડિવિઝન હોય છે. જેમાં સર્વિસ પ્રોવિઝનથી માંડીને આઉટકમ સુધીના આઠ ડિવિઝનને આધારે મૂલ્યાંકન કરવામાં આવશે. જેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે આટલી વસ્તુ આમાં હોવી જોઈએ, તે માટે મૂલ્યાંકન કરવામાં આવે છે. એક ખાસ પ્રકારનું તૈયાર કરાયેલું આ ચેકલીસ્ટ હોય છે. જેના આધારે જ મૂલ્યાંકન થતું હોય છે. આ અંગે ડોક્ટર રૂપકુમારે જણાવ્યું હતું કે, આજે લક્ષ્ય અને મુસ્કાનનું એસેસમેન્ટ થવાનું છે. ભારત સરકાર તરફથી અમને મોકલવામાં આવ્યા છે અને અહીંય કયા પ્રકારની કામગીરી થાય છે તેની ચકાસણી કરી તેનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 3:17 pm

રાજકોટની ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટ સીલ:મનપા દ્વારા રિનોવેશન કરવા માટે વેપારીઓને જ્યુબેલી માર્કેટમાં ખસેડાયા, જગ્યા ફરવાથી વેપાર-ધંધા ભાંગી પડ્યાનો વેપારીઓનો વસવસો, ઝડપી કામ કરવા માંગ

રાજકોટની હૃદય સમાન ગણાતી તેમજ ઐતિહાસિક વારસો ધરાવતી સર લાખાજીરાજ માર્કેટને આધુનિક બનાવવાના હેતુસર આખરે સીલ કરવામાં આવી છે. અતિ જર્જરિત બનેલી આ માર્કેટનાં રિનોવેશન માટે તેને બંધ કરવા મનપા દ્વારા લાંબા સમયથી પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. વેપારીઓનાં ભારે વિરોધ બાદ મનપા તંત્રએ અંતે વેપારીઓને જ્યુબેલી માર્કેટમાં વૈકલ્પિક જગ્યા આપી લાખાજીરાજ માર્કેટ સીલ કરવામાં આવી છે. ગત સોમવારના રોજ કાર્યવાહી હાથ ધરીને સમગ્ર માર્કેટને સીલ કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણયના પગલે અહીં વર્ષોથી ધંધો કરતા વેપારીઓએ જગ્યા ફરવાથી વેપાર-ધંધા ભાંગી પડ્યા હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો. સાથે જ તાત્કાલિક આ માર્કેટનું રીનોવેશન શરૂ કરી તેને ઝડપથી પૂરું કરવાની માંગ કરી છે. સમગ્ર માર્કેટ સીલ, 55 થડાધારકો અસરગ્રસ્ત પ્રાપ્ત ગિગત મુજબ, સર લાખાજીરાજ માર્કેટને સીલ કરવાની કામગીરી ગત સોમવારે શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહીના ભાગરૂપે માર્કેટમાં કાર્યરત તમામ થડાઓ અને દુકાનોને તાત્કાલિક અસરથી ખાલી કરાવવામાં આવ્યા હતા, અને ત્યારબાદ સમગ્ર માર્કેટના દરવાજાને સીલ મારી દેવામાં આવ્યું હતું. આ માર્કેટમાં લગભગ 50 થી 55 થડાધારકો પોતાનો વ્યવસાય કરતા હતા, જે તમામ વેપારીઓને કામકાજ ચાલુ રાખવા માટે જ્યુબેલી શાકમાર્કેટ ખાતે વૈકલ્પિક જગ્યા આપવામાં આવી છે. વર્ષોથી વેપાર કરતા ધંધાર્થીઓને હાલાકી આ માર્કેટમાં ત્રીજી પેઢીથી છેલ્લા 70 વર્ષથી વેપાર કરતા હસમુખભાઈ પટેલના જણાવ્યા મુજબ, તંત્રના આ નિર્ણયથી હાલ વેપારીઓને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હસમુખભાઈએ જણાવ્યું હતું કે, અત્યારે લગભગ 50 થી 55 થડા ચાલુ છે, અને અમને વૈકલ્પિક જગ્યા તરીકે જ્યુબેલી શાકમાર્કેટમાં જગ્યા આપવામાં આવી છે. પરંતુ ત્યાં કોઈ વેપાર ચાલુ થતો નથી અને ત્યાં કોઈ ગયું નથી. જુદી-જુદી જગ્યાએ વિકલ્પ આપવામાં આવ્યો છે, પરંતુ ત્યાં કોઈ ગયું નથી. વૈકલ્પિક જગ્યાએ ખસેડાવવાના કારણે વેપાર પર થતી અસર અંગે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, 70 વર્ષ જૂની જગ્યા બદલાય તો ધંધામાં 80% જેટલો મોટો ફેર પડે છે, એટલે કે 20% પણ આવક થતી નથી. વેપાર બંધ થવાને કારણે આટલા મોટા પ્રમાણમાં નુકસાન વેપારીઓ માટે રોજીરોટીનો ગંભીર પ્રશ્ન ઊભો કરી શકે છે. ત્યારે મનપા દ્વારા તાત્કાલિક રીનોવેશન શરૂ કરી અને ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી અમારી માંગ છે. અમે માર્કેટને સોમવારની ખાલી કરીને આપી દીધી છે, પણ હજી સુધી કોઈ કામ ચાલુ કર્યું નથી. તેમણે તંત્રને અપીલ કરી છે કે, જપાટાભેર કામ ચાલુ કરવામાં આવે અને માર્કેટ વહેલી તકે વેપારીઓ માટે ફરીથી શરૂ કરી દેવામાં આવે, જેથી વેપાર-ધંધા ફરીથી પાટે ચડી શકે. મનપાનાં સિટી એન્જીનીયર અતુલ રાવલે દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક માર્કેટને આધુનિક સુવિધાયુક્ત બનાવવા માટે રિનોવેશનનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. હાલ આ માટેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જે પૂર્ણ થયા બાદ ચોક્કસ ખર્ચ અને સમયગાળા અંગેની વિગતો જાહર કરવામાં આવશે. રિનોવેશન પૂર્ણ થયા બાદ રાજકોટના હૃદયમાં એક નવીન અને સુવિધાયુક્ત માર્કેટ ઉપલબ્ધ થશે, જે ઐતિહાસિક વારસાનું જતન કરવાની સાથે વેપારીઓ માટે પણ આધુનિક સુવિધાઓ પૂરી પાડશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 3:17 pm

કાંસાની વિદ્યાર્થીનીએ તાલુકા ચેસ સ્પર્ધા જીતી:પાટણ જિલ્લા માટે પસંદગી પામી, શાળાનું ગૌરવ વધાર્યું

પાટણ જિલ્લાના ખેલ મહાકુંભ અંતર્ગત સરસ્વતી તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધામાં કાંસાની શ્રી એસ.પી.ઠાકોર સર્વોદય વિદ્યાલયની ધોરણ 9ની વિદ્યાર્થીની ઠાકોર કાજલબેન ઉદાજીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વિજય સાથે તેણે જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે પસંદગી મેળવી છે. આ સ્પર્ધા વાયડ ખાતે 12 નવેમ્બર, 2025ના રોજ યોજાઈ હતી. કાજલબેને વાયડની પ્રતિસ્પર્ધી સામે ત્રણ રાઉન્ડમાં વિજય મેળવી શાળા અને ગામનું ગૌરવ વધાર્યું છે. કાંસા હાઈસ્કૂલના સંચાલક કેશાજી એસ. ઠાકોર, આચાર્ય, સ્ટાફગણ અને વ્યાયામ શિક્ષક પ્રવીણસિંહ એલ. સોલંકીએ કાજલબેનને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 3:16 pm

દિલ્હી ઘટના બાદ સુરતમાં સુરક્ષાને લઈને પોલીસ કાર્યવાહી:ભાડા કરાર વગર દુકાન-મકાન ભાડે આપી દેનારારા 100 લોકો સામે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી

દિલ્હીમાં થયેલા તાજેતરના બોમ્બ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લઈને સુરત શહેર પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને, ભાડા કરાર વગર મકાન, દુકાન કે અન્ય એકમો ભાડે આપનારા મકાન-માલિકો વિરુદ્ધ પોલીસે ઝુંબેશ ચલાવી છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા એક જાહેરનામાનો ભંગ કરનારા લોકો સામે ઝોન-1 વિસ્તારમાં મોટાપાયે કાર્યવાહી કરવામાં આવી છે. આ જાહેરનામું ખાસ કરીને આતંકવાદી/અસામાજિક તત્વો શહેરી અને ઔદ્યોગિક વિસ્તારોમાં ગુપ્ત આશરો ન મેળવી શકે તે હેતુથી બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશનરના જાહેરનામાના અમલ માટે ઝોન-1 વિસ્તારમાં આવતા પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 'ભાડુઆત ડ્રાઇવ' હાથ ધરવામાં આવી હતી. સુરત ઝોન-1 વિસ્તારમાં 100 લોકો સામે પગલાં લેવામાં આવ્યાઝોન 1 વિસ્તારન કાપોદ્રા, વરાછા, સરથાણા, લસકાણા અને પુણા વિસ્તારમાં જાહેરનામા ભંગ બદલ 100 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ સઘન ડ્રાઇવ દરમિયાન, ઝોન-1 વિસ્તારમાં પોલીસે કુલ 100 લોકો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી મુખ્યત્વે મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમોના એવા માલિકો વિરુદ્ધ કરવામાં આવી છે જેમણે તેમના ભાડૂતોની વિગતો અને ભાડા કરાર પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યા નથી. પોલીસ દ્વારા જણાવ્યા મુજબ, આ કાર્યવાહીનો મુખ્ય આધાર ગુપ્તચર સંસ્થાઓના વખતોવખતના અહેવાલો અને દિલ્હી બૉમ્બ બ્લાસ્ટ જેવી ઘટનાઓ છે. દેશની સુરક્ષા હેતુસર આ પગલું લેવામાં આવ્યું છે જેથી બહારના રાજ્યોમાંથી કે દેશ બહારથી આવતા શંકાસ્પદ તત્વો રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારોમાં ગુપ્ત આશરો ન મેળવી શકે. આવા તત્વો શહેરમાં જાહેર સલામતી, શાંતિનો ભંગ, માનવજીવનની ખુવારી કે જાહેર/લોકોની સંપત્તિને નુકસાન પહોંચાડવાની કોશિશ ન કરે. ભાડા કરાર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા તાકીદભાડે આપનાર માલિકો પર નિયંત્રણો મૂકીને ત્રાસવાદી પ્રવૃત્તિઓને અંજામ આપતા તત્વોની ગતિવિધિઓ પર નજર રાખી શકાય. પોલીસ કમિશનરના જાહેરનામું ક્રમાંકઃએસ.બી/જાહેરનામુ/ મકાન, દુકાન, ઓફીસ, ઔધોગિક એકમો ભાડે આપવા214/2025 અન્વયે આ કાર્યવાહી કરવામાં આવી છે. સુરત પોલીસે મકાન-માલિકોને અપીલ કરી છે કે તેઓ રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં તેમના તમામ ભાડૂઆતોની યોગ્ય વિગતો અને ભાડા કરાર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરજિયાતપણે જમા કરાવે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 3:10 pm

'વ્યાજ-મુડી નહીં આપે તો તને ઉપાડી લઇશ':4.40 લાખ સામે 4.56 લાખ વ્યાજ ચુકવ્યું છતાં વ્યાજખોરે ધમકી આપી, કહ્યું- તારી કીડની વેચીને રૂપિયા વસુલ કરીશ

બોરસદ તાલુકામાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પ્રાથમિક શાળાના આચાર્યએ 4.40 લાખ રૂપિયાની મુદ્દલ સામે 4.56 લાખ રૂપિયા વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં, વ્યાજખોરે તેમને વધુ પૈસા માટે ધમકીઓ આપતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. આણંદ જિલ્લાના બોરસદમાં ઓમ રેસીડેન્સીમાં રહેતા 46 વર્ષીય વિપુલભાઈ મોહનભાઈ વાળંદ પુરબીયાપુરાની પ્રાથમિક શાળામાં આચાર્ય છે. ત્રણ વર્ષ પહેલાં તેમને 1.50 લાખ રૂપિયાની જરૂર પડતાં, મિત્ર જીગ્નેશભાઈ પંડ્યા મારફતે તેઓ વિશ્વા ફાયનાન્સ ચલાવતા ગોવિંદ પોપટભાઈ બ્રહ્મભટ્ટ (રહે. બાકરોલ, આણંદ)ના સંપર્કમાં આવ્યા હતા. ગોવિંદે સિક્યુરિટી પેટે બે ચેક લઈને માસિક 5 ટકા વ્યાજે વિપુલભાઈને 1.50 લાખ રૂપિયા આપ્યા હતા. વિપુલભાઈએ માત્ર બે મહિનામાં જ વ્યાજ સહિતની સંપૂર્ણ રકમ ગોવિંદને પરત કરી દીધી હતી. ત્યારબાદ, માર્ચ-2023માં વિપુલભાઈએ હોમ લોનના હપ્તા માટે 2 લાખ, જાન્યુઆરી-2024માં પુત્રના લગ્ન માટે 1 લાખ, એપ્રિલ-2024માં ફરી હોમ લોનના હપ્તા માટે 1 લાખ, અને મે-2024માં અન્ય કામ માટે 40 હજાર રૂપિયા મળીને કુલ 4.40 લાખ રૂપિયા માસિક 5 ટકા વ્યાજે ગોવિંદ પાસેથી લીધા હતા. તેઓ દર મહિને નિયમિતપણે વ્યાજ ચૂકવતા હતા. વિપુલભાઈએ લીધેલા 4.40 લાખ રૂપિયાની મુદ્દલ સામે અત્યાર સુધીમાં 4.56 લાખ રૂપિયા જેટલું વ્યાજ ગોવિંદને ચૂકવી દીધું છે. તેમ છતાં, ગોવિંદે વિપુલભાઈના ઘરે જઈને બોલાચાલી કરી હતી અને ધમકી આપી હતી કે, જો તું મને વ્યાજ તથા મુદ્દલના પૈસા નહીં આપે તો તને નોકરીએ જતાં રસ્તામાંથી ઉપાડી લઈશ અને તારી કિડની વેચીને પણ હું પૈસા વસૂલ કરીશ. આ ઉપરાંત, ગોવિંદે અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. વિપુલભાઈ મોહનભાઈ વાળંદની ફરિયાદના આધારે, બોરસદ સિટી પોલીસે વ્યાજખોર ગોવિંદભાઈ પોપટભાઈ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 2:46 pm

જામનગરમાં SOG એ ગેરકાયદે ગેસ રિફિલિંગ ઝડપ્યું:દરેડ વિસ્તારમાંથી એક શખ્સની ધરપકડ, સાધનો જપ્ત કર્યાં

જામનગર નજીક દરેડ વિસ્તારમાં ગેરકાયદેસર રાંધણ ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે બાતમીના આધારે દરોડો પાડી એક શખ્સની અટકાયત કરી છે. પોલીસે ગેસ રિફિલિંગ માટે વપરાતા સાધનો અને ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે. SOG શાખાની ટીમે દરેડ વિસ્તારમાં આવેલા એક મકાનની ઓરડીમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી મસિતિયાના આસિફ સિદ્દીકભાઈ ખફી નામના શખ્સને ગેસ રિફિલિંગનું કારસ્તાન ચલાવતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આસિફ ખફી રાંધણ ગેસના મોટા સિલિન્ડરમાંથી ગેરકાયદેસર રીતે પાઈપ અને નોઝલનો ઉપયોગ કરીને નાના સિલિન્ડરમાં ગેસ ભરી રહ્યો હતો. આ પ્રવૃત્તિ ગ્રાહકો અને જાહેર સલામતી માટે જોખમી હતી. પોલીસે તેની અટકાયત કરી રાંધણ ગેસના બે નાના-મોટા સિલિન્ડર, વજન કાંટો, નોઝલ અને પાઇપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આસિફ ખફી વિરુદ્ધ જામનગરના પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 289 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 2:43 pm