કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ (5થી 7 ડિસેમ્બર) ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન ₹1506 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકોને વિકાસ કાર્યોની ભેટ આપશે. વસ્ત્રાપુર તળાવનું નવીનીકરણ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના હજારો મકાનોનું લોકાર્પણ, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ-2025નો પ્રારંભ, બનાસ ડેરીના અનેક પ્લાન્ટનું ખાતમુહૂર્ત તથા સાબરમતી રિવરફ્રન્ટ પર BAPSના પ્રમુખ વરણી અમૃત મહોત્સવ સહિત 20થી વધુ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે. તે સિવાય ગાંધીનગરમાં નાબાર્ડની અર્થ સમિટ, સ્વદેશોત્સવ અને બનાસકાંઠામાં મહિલા દુધ ઉત્પાદકો સાથે સંવાદ પણ કાર્યક્રમમાં સામેલ છે. અમિત શાહ 1506 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવવાના છે ત્યારે 7 ડિસેમ્બરના રોજ અમદાવાદ શહેરમાં 1506 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગૃહ મંત્રી દ્વારા કરવામાં આવશે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા વસ્ત્રાપુર તળાવનું 10 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેને નાગરિકો માટે કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા ખુલ્લું મૂકવામાં આવશે. ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા વિકાસ કાર્યોના લોકાર્પણ અંતર્ગત 8 જેટલા સ્થળો ઉપર મુલાકાત લઇ નાગરિકોની સુવિધા માટે લોકાર્પણ કરશે. ગોતા દેવનગર પાસે મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત કરશે અને જાહેર સભાને પણ સંબોધન કરવાના છે. PM આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ કરવામાં આવશેકેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા રૂપિયા 1506 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ઉપરાંત શહેરના થલતેજ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 861 અને વાસણા વિસ્તારમાં 509 આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે નારણપુરા વિસ્તારમાં નટના છાપરા ખાતે ઝૂંપડપટ્ટી પુનઃ વિકાસના અંતર્ગત બનાવેલા મકાનોનું લોકાર્પણ અને ડ્રો કરશે. શહેરના બોપલ વિસ્તારમાં બનાવવામાં આવેલા ઇલેક્ટ્રોથર્મ ગાર્ડનનું પણ લોકાર્પણ કરશે તેમજ રાણીપ બલોલનગર નીચે બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. નવા બગીચા, યોગ સ્ટુડિયો અને સ્પોટ્સ કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કરશેકેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા આજે 5 ડિસેમ્બરના રોજ સવારે 11 વાગ્યે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં સ્વદેશી જાગરણ મંચ દ્વારા યોજાનારા સ્વદેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે નાબાર્ડ દ્વારા યોજાનાર અર્થ સમિટ 2025 ના સમાપન સમારોહમાં હાજરી આપશે. બપોરે ગાંધીનગરના તળાવના ઇન્ટરલિંગને લઈ સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરશે. બાદમાં બપોરે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા નવા બગીચા, યોગ સ્ટુડિયો, સ્પોટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. સિંધુભવન રોડ ખાતે શોપિંગ ફેસ્ટિવલની શરુઆત કરાવશેસાંજે ગાંધીનગરના મોટી આદરજ પાસે પીએનજી ગેસ લાઇન, નવા આરોગ્ય ભવન અને નવી પ્રાથમિક તેમજ કન્યા શાળાનું લોકાર્પણ કરશે. સાંજે સાડા પાંચ વાગ્યે અમદાવાદના નારણપુરા ખાતે વીર સાવરકર કોમ્પ્લેક્સમાં સાંસદ ખેલ મહોત્સવના સમાપન કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે. બાદમાં સાંજે 6:30 વાગ્યે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા આયોજિત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025નું સિંધુભવન રોડ ખાતેથી શરૂઆત કરાવશે. આવતીકાલે બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ ખાતે જશેકેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ત્રણ દિવસમાં 6 ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ ખાતે પણ જશે. સણાદર ખાતે બનાસ ડેરીના બાયો સીએનજી, પાવડર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. બટાટા પ્લાન્ટની પણ તેઓ દ્વારા મુલાકાત લેવામાં આવશે. સોઇલ ટેસ્ટિંગ લેબની વર્ચ્યુઅલ નિરીક્ષણ અને એડમીન બ્લોક રેડિયો સ્ટેશનની પણ મુલાકાત લેશે ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ લેબની પણ મુલાકાત લેવાના છે. સહકારીતા મંત્રાલયની એક બેઠકમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે ત્યારબાદ સાંજે લાખણી ખાતે બનાસ ડેરીના નવનિર્મિત બાયો સીએનજી અને ફર્ટિલાઇઝર પ્લાન્ટની મુલાકાત લઇ મહિલા દૂધ ઉત્પાદકો સાથે સંવાદ કરશે. પાલનપુર ખાતે મધ, ઓઇલ અને આટા પ્લાન્ટ વગેરેની પણ મુલાકાત લેશે. 7 તારીખે પણ જુદા-જુદા કાર્યક્રમોમાં હાજરી આપશેકેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 7 ડિસેમ્બરના રોજ અમદાવાદના ગોતા દેવનગર ખાતે બપોરે 2 વાગ્યે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત જાહેર સભાને સંબોધન કરવાના છે જેમાં આશરે 10,000 જેટલા લોકો ઉપસ્થિત રહેશે. બપોરે એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ નજીક શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત એ ચૂનોતીયાં મુજે પસંદ હેની ગુજરાતી આવૃત્તિનુ વિમોચન કરવાના છે. સાંજે 6.30 વાગ્યે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા યોજવામાં આવેલા પ્રમુખ વરણી અમૃત મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે.
દુર્ઘટનાની ભીતિ:કદવાલ જૂના બસ સ્ટેશનની બાજુમાં આવેલી ટાંકી પડવાની અવસ્થામાં
છોટાઉદેપુર જિલ્લાના નવીન કદવાલ તાલુકાના જૂના બસસ્ટેશનની બાજુમાં આવેલ ટાંકી પડવાની અવસ્થામાં હોવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કદવાલ તાલુકાના જૂના બસ સ્ટેશન તરફ આવેલી ટાંકી પડવાના સંકેતોમાં જોવા મળી રહી છે. આની ઉંચાઈ એટલી બધી છે કે સ્થાનિકો માં તો હવે ભયનો માહોલ ઉભો થયો છે. આ કદવાલ જુના બસ સ્ટેશનની ટાંકી ભૂતકાળના સમય ગાળા દરમિયાન આશરે 45થી વધુ વર્ષ થઈ ગયા છે. એવું ગ્રામલોકો જણાવી રહ્યા છે. આ ટાંકીના સિમેન્ટના પોપડા પણ દિન પ્રતિ દિન ઉપરથી નીચે સુધી ઉખડી પડતા હોય છે. અને ચારો કોર સ્થાનિકોનો જીવ જાણે અધર થતો જાય છે. સ્થાનિક ગ્રામ લોકોનું એવું પણ કહેવું છે. આ અંગેનો અહેવાલો પ્રસિદ્ધ થયા હતા ત્યારે છોટાઉદેપુર જિલ્લામાંથી પાણી પુરવઠા વિભાગમાંથી પણ આ ટાંકીને તોડવા માટે કોઈ અધિકારી અમારા જોડે આવ્યા હતા. અમને બધી પૂછ પરછ કરી હતી. ટાંકી તોડવા માટે સહી કરાવી હતી . હાલ તો કેટલો સમય અને મહિના થઈ ગયા છે. હવે તો ટાંકીના ઉપરથી લઈ નીચે સુધી સિમેન્ટના પોપડા નાના-મોટા પડી રહ્યા છે.હવે નવીન કદવાલ તાલૂકો બન્યો છે . અને કદવાલ જુના બસ સ્ટેશનની બાજુમાં આવેલ ટાંકી પોપડા ઉખડીને પડે છે. ત્યારે તાત્કાલિક ધોરણે સરકારીના અધિકારીઓ આ ટાંકીને તોડવાની કઈ પગલાં લે એવી કદવાલ જૂની ટાંકીની ચારો કોર રહેતા સ્થાનિક ગ્રામ લોકોની માંગ ઉઠી છે. નહીં તો તાત્કાલિક પગલાં નહીં લેવાયા અને જૂની ટાંકીમાં કઈ પણ જીવ આવી ગયો અને અચાનક ટાંકી પડી અને જીવતા માણસોનો જીવ લીધો અને કઈ પણ મોટી હોનારત થઈ તો એનો જવાબદાર કોણ રહશે ?
દબાણ કરાયા દૂર:છોટાઉદેપુરમાં ટ્રાફિકને નડતરરૂપ 170 જેટલા દબાણો દૂર કરાયાં
છોટાઉદેપુર નગરમાં દબાણોને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. નગર પાલિકા તંત્ર દબાણો દૂર કરે અને પુનઃ પાછા જે સે છે તેવી સ્થિતિ થઈ જાય છે. કા તો પાલિકા તંત્રને કોકની શરમ નડતી હોય કે પછી દબાણ કરતા વેપારીઓ પાલિકાને ગાંઠતા નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે. ગુરુવારે છોટાઉદેપુર નગરમાં ફરી દબાણો હટાવવા અંગેની કાર્યવાહી પોલીસ કાફલા સાથે શરૂ કરવામાં આવી હતી. 170 જેટલા દબાણો દૂર કરાયા હતા. જેમાં નગરમાં ઝંડા ચોકથી માણેક ચોક સુધી તેમજ કુસુમ સાગર તળાવની આસપાસ બેઠેલા મરી મસાલા અને શાકભાજીના વેપારીઓને મુખ્યમાર્ગ ઉપરથી હટાવી જીઇબી કમ્પાઉન્ડમાં વૈકલ્પિક વ્યવસ્થાના સ્થળ ઉપર ખસેડાયા હતા. છોટાઉદેપુર નગરમાંથી ગૌરવ પથ ઉપર ઝંડા ચોકથી માણેક ચોક સુધી જવું હોય તો વાહન ચાલકોને તકલીફ અને મુશ્કેલીનો સામનો ટ્રાફિકની સમસ્યાઓને કારણે કરવો પડે છે. પથારા કરીને બેસતા વેપારીઓ રોડ સુધી આવી જાય છે અને વાહન ચાલકોને અડચણરૂપ બને છે. જેની ઘણી બધી ફરિયાદો પાલિકા તંત્રને મળતી રહે છે. દબાણ કરતા વેપારીઓને જીઈબી કેમ્પસમાં ખસેડાયા છે ગુરુવારે નગર પાલિકા ઝંડા ચોક ખાતેથી લઈ માણેક ચોક સુધીના નડતર રૂપ દબાણો દૂર કરી તે વેપારીઓને જીઇબી કેમ્પસમાં ખસેડાયા છે. આવનારા સમયમાં પણ નગરના વિકાસ અર્થે નડતર રૂપ દબાણો અંગે કડક પગલાં ભરવામાં આવશે. આશા રાખીએ છે કે નગરના વિકાસ માટે સર્વે વેપારીઓ પાલિકાને સાથ સહકાર આપશે. > ભાવિનભાઈ બરજોડે, ચીફ ઓફિસર, છોટાઉદેપુર નગરપાલિકા
પોલીસ કાર્યવાહી:ગોધરામાંથી ઇકોની ચોરેલી AMC સર્કિટ સાથે 1 ઝડપાયો
પંચમહાલના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના આધારે ગોધરાના એસઓજી ઇન્સ્પેક્ટર આર.એ. પટેલે સ્ટાફને કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. જે અંતર્ગત પોસઇ બી.કે. ગોહિલ અને સ્ટાફ ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે ગોધરા દયાળ કાકરા રોડ પર એક ઇસમ ઇકો ગાડીની એએમસીની સર્કીટ સાથે ઉભો છે. બાતમીના આધારે પોલીસે તપાસ કરતા સ્થળ પરથી રિઝવાન સાજીદ મામજી રહે. રાણી મસ્જિદ પાસે,ગોધરાને રૂા.8 હજારની એસીએમ સર્કીટ સાથે ઝડપી પાડ્યો હતો. જે સર્કીટ ગોધરાના કલાલ દરવાજા પાસે પાર્ક કરેલી ઇકો ગાડીમાંથી ચોરી કરાયેલી હતી.
ચોરીનો મામલો:ગોધરાના ઉર્દુ સ્કૂલની સામેના મકાનમાંથી 1.13 લાખની તસ્કરી કરાઇ
ગોધરા શહેરની ઉર્દુ સ્કૂલની સામે રહેતા અને વેલ્ડીંગનો વ્યવસાય કરતા ફિરદોસ ફારુક ગરીબાના રહેણાંક મકાનમાં કોઈ અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કર્યો હતો. તેઓના રહેણાંક મકાનના રૂમમાં મૂકેલી તિજોરીનું ડ્રોવરમાં સોનાની બુટ્ટી, ચાંદીની ચાર બંગડીઓ, સોનાની કડીઓ તથા ગ્રાહક પાસેથી વેલ્ડિંગના કામ માટે એડવાન્સ પેટે લીધેલા રૂા.90 હજાર પણ તિજોરીમાં મૂકી રાખેલા હતા. ત ્કરોએ તીજોરીનો ડ્રોવર તોડીને અંદર મુકેલા સોના ચાંદીના દાગીના સહિત રોકડા રૂપિયા મળી કુલ રૂા.1.13 લાખની મત્તાની ચોરી કરી લઈ કરીને નાસી ગયા હતા. આ અંગે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ઘરફોડ ચોરીનો ગુન્હો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગંભીર અકસ્માત સર્જાયો:બાઇક પરથી ફંગોળાયેલી મહિલાનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ
છાલોર ગામે બમ્પના કારણે થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં બાઇક પર સવાર એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. વટલી ગામના કિરીટભાઈ નીનામા બાઇક નંબર GJ-20-Q-6234 પર વટલી ગામના મહેશભાઈ નીનામા અને નવાતળાવ ગામના નવલીબેન પારગીને બેસાડીને જગોલાથી ફતેપુરા તરફ જઈ રહ્યા હતા. બપોરના આશરે 1.30 વાગ્યાના અરસામાં જ્યારે તેઓ છાલોર ગામના પટેલ ફળિયામાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઇક વધુ ઝડપમાં હોવાથી રસ્તા પરના બમ્પ પરથી બાઇક જોરદાર ઉછળી હતી. બાઇક ઉછળવાના કારણે પાછળ સવાર મહેશભાઈ અને નવલીબેન બાઇક ઉપરથી ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. બાદમાં બાઇક સ્લીપ ખાઈ જતાં ચાલક કિરીટભાઈને પણ ઈજા પહોંચી હતી. આ અકસ્માત બાદ ત્રણે ઘાયલોને તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જોકે, આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા નવાતળાવ ગામના નવલીબેન પારગીનું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે નવાતળાવ ગામના હુમાભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે બાઇક ચાલક કિરીટભાઈ નીનામા વિરુદ્ધ ગફલતભરી રીતે વાહન ચલાવી અકસ્માત સર્જવા બદલ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.
હુમલો:ઘુસરમાં રેતીનું ટ્રેકટર રોકવા મુદ્દે 4 લોકોએ હુમલો કરતા બેને ઇજા
કાલોલના ઘુસર ખાતે બુધવારે વહેલી સવારે રામદેવ મંદિર નજીક રોડ ઉપર સરપંચના પતિ દિનેશભાઈ બારીયા તથા આગેવાનોએ રેતી ભરેલું ટ્રેક્ટર પકડી પાડ્યું હતું. જે જોવા માટે વિપુલસિંહ સોલંકી પણ ગયો હતો. જે ટ્રેક્ટર વેજલપુરના મોહસીન ઘાંચીનુ હતું ડ્રાઈવર ટ્રેકટર મૂકી નાસી ગયો હતો. ત્યારે સુમિતભાઈ રાઠોડનો વિપુલસિંહ પર ફોન આવેલ અને તું ઘુસર ચોકડી પર આવી જા અમારે તારી સાથે વાત કરવી છે. એ જ પ્રમાણે વિપુલસિંહના મિત્ર યુવરાજસિંહ બારીયા પર પણ મોહસીનનો ફોન આવ્યો હતો. જેથી બંને ભેગા મળીને ઘુસર ચોકડી ઉપર અલ્તાફભાઈના રેતીના પ્લાન્ટ નજીક ગયા હતા. ત્યાં સુમિતભાઈ રાઠોડ તથા મોહસીન ઘાંચી તથા મેહુલભાઈ ભરવાડ અને વિક્રમભાઈ ભરવાડ હાજર હતા. ચારે જણા રેતી ભરેલા ટ્રેક્ટર રોકવાની અદાવતે ગાળો બોલવા લાગ્યા હતા. ઉશ્કેરાઈ જઈને યુવરાજને મારમારતા લોહી નીકળ્યું હતું. વિપુલસિંહ છોડાવવા પડતા મોહસીન ઉર્ફ ઢબલાએ લોખંડની પાઇપ મારી દીધી હતી. તમામ ઈસમો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. જ્યારે બંને ઇજાગ્રસ્તોને 108 મારફતે ગોધરા સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. સમગ્ર બાબતે વેજલપુર પોલીસ મથકે વિપુલસિંહ સોલંકીએ ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
બ્રધર્સ હાઈસ્કૂલમાં વાલી મીટિંગ:છાત્રોને માનસિક દબાણ ન રહે તેની કાળજી રાખવા વાલીઓને અનુરોધ
લીમખેડા તાલુકાના મોટીબાંડીબાર સ્થિત એમ એન્ડ એન બ્રધર્સ હાઈસ્કૂલમાં આવનારી બોર્ડ પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ તથા વાલીઓને જાગૃત કરવા વિશેષ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા નજીક આવતી તારીખોને લઈ વિદ્યાર્થીઓ સાથે વાલીઓમાં પણ ઉચાટ જોવા મળતો હોવાથી આ બેઠક દ્વારા બંનેને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મિટિંગ દરમિયાન શાળાના આચાર્ય તથા સ્ટાફોએ વિદ્યાર્થીઓમાં શિસ્ત, નિયમિત અભ્યાસ, સમયપાલન અને પરીક્ષા દરમિયાન અનુસરવાની જરૂરી સુચનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. બોર્ડ પરીક્ષા સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ પ્રકારનું માનસિક દબાણ ન રહે તેની ખાસ કાળજી રાખવા વાલીઓને અનુરોધ કર્યો હતો. શાળાના શિક્ષકોએ વાલીઓને સૂચના આપી હતી કે પરીક્ષા દિવસોમાં બાળકોને ભાવનાત્મક અને માનસિક સહારો પૂરું પાડે તેમજ પરીક્ષા કેન્દ્રની આસપાસ ભીડ ન કરવી જોઈએ. વાલીઓને એ પણ સમજાવવામાં આવ્યું કે પરીક્ષા દરમ્યાન ખાલી બેસી રહેવા કે સમય બગાડવા કરતાં પોતાના રોજિંદા કામકાજ પર ધ્યાન કેન્દ્રિત કરે તો વિદ્યાર્થીઓ નિશ્ચિંત થઈને પરીક્ષા આપી શકશે. આ મિટિંગ દ્વારા વાલીઓએ પરીક્ષા નિયમો, વિદ્યાર્થી જીવનના ઘડતર અને બાળકોની શૈક્ષણિક પ્રગતિ અંગે મહત્વપૂર્ણ માહિતીઓ મેળવી હતી. મોટી બંડીબારની શાળામાં બોર્ડ પરીક્ષાના માર્ગદર્શન માટેની વાલિ મિટિંગમાં ઉપસ્થિત વાલિઓમાં માતાઓની વિશેષ હાજરી રહી હતી. બાળકોને માનસિક સહકાર આપવા માતાઓની પ્રતિબદ્ધતાબોર્ડ પરીક્ષા મુદ્દે યોજાયેલી વાલિ મિટિંગમાં માતાઓએ ખાસ ઉત્સાહ સાથે હાજરી આપી હતી. તેઓએ બાળકોના ભવિષ્ય અને અભ્યાસ સંદર્ભે શિક્ષકો પાસેથી માર્ગદર્શન ધ્યાનપૂર્વક સાંભળ્યું હતું.માતાઓએ પરીક્ષા દરમ્યાન બાળકોને માનસિક સહકાર આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.મિટિંગમાં માતાઓની વધેલી હાજરીએ શાળાના આયોજનને વધુ સકારાત્મક બનાવ્યું હતું.
દાહોદમાં તાલીમી અધિકારીઓને પ્રાથમિક સમજ અપાઇ:વિભાગીય કામગીરી હેઠળના કામો અંગે માહિતી મેળવશે
દાહોદ જિલ્લાના પ્રવાસે તાલીમ અર્થે આવેલા અધિકારીઓ સાથે આજે કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ તાલીમી અધિકારીઓને જિલ્લાની વહીવટી પ્રણાલી અને સામાજિક માળખાથી પરિચિત કરાવવાનો હતો. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાલીમી અધિકારીઓને જિલ્લાના વિવિધ વિભાગો તરફથી કરાતી કામગીરીની બેઝિક જાણકારી આપી હતી. હવે, પ્રવાસાર્થે આવેલા આ તાલીમી અધિકારીઓ જિલ્લાના વિવિધ તાલુકાઓની રૂબરૂ મુલાકાત લેશે અને ફિલ્ડ વિઝિટ દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ વિવિધ સંસ્થાઓ અને વિભાગીય કામગીરી હેઠળના કામો અંગે વિગતવાર માહિતી મેળવશે. જેમાં મુખ્યત્વે શાળાઓ, આંગણવાડીઓ, સસ્તા અનાજની દુકાનો, ગ્રામ પંચાયતો, સહકારી મંડળીઓ તેમજ પ્રવાસીય સ્થળોનો સમાવેશ થાય છે. પુસ્તકીય જ્ઞાન સાથેજમીની સ્તરના પડકારોસમજવા મોકલ્યાઆ તાલીમી અધિકારીઓ સામાન્યરીતે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC) દ્વારા લેવાતી સિવિલસર્વિસ પરીક્ષા પાસ કરીને તાજેતરમાંજ ભરતી થયેલા અધિકારીઓ છે.આ અધિકારીઓ તેમની એકેડેમિકતાલીમ પૂર્ણ કર્યા પછી જિલ્લા સ્તરેવાસ્તવિક અનુભવ મેળવવા માટેઆવ્યા છે. તેમને સરકારીયોજનાઓ, વહીવટી પ્રક્રિયાઓ,જનસંપર્ક, કાયદા-વ્યવસ્થા, અનેગ્રામીણ સમસ્યાઓનું પ્રત્યક્ષ જ્ઞાનમળે તેઓ જમીની સ્તરના પડકારોસમજતા થાય તે માટે દાહોદમોકલવામાં આવ્યા છે.
દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીઓના હજારો રહિશો પાલિકાની ગંભીર બેદરકારીનો ભોગ બન્યા છે. છેલ્લા 1 સપ્તાહથી જલારામ સોસાયટી, હજારીયા સોસાયટી, નરસીંગ કોલોની અને ઉમરાવાલાની ચાલ સહિતના વિસ્તારોમાં કચરા કલેક્શનની ગાડી ન આવતા ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. દૈનિક ધોરણે ઘરોમાંથી નીકળતો કચરો હવે સોસાયટીઓની અંદરની ગલીઓમાં એકઠો થઈ રહ્યો છે. કચરાના ઢગલાઓમાંથી તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે સ્થાનિકોને ભારે હેરાનગતિ વેઠવી પડી રહી છે. વધુમાં કચરાના સડવાથી મચ્છરો અને જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. જે બાળકો અને વડીલોમાં રોગચાળાનો ગંભીર ભય પેદા કરી રહ્યો છે. રહિશોના જણાવ્યા મુજબ અનેક વખત મૌખિક અને ફોન દ્વારા ફરિયાદ કરવા છતાં નગરપાલિકાએ કોઈ કાર્યવાહી કરી નથી. સ્થાનિક લોકોએ વેરો ભરવા છતાં આવશ્યક સેવાઓ ન મળતા તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. રહિશોએ નગરપાલિકાને તાત્કાલિક ધોરણે કચરા કલેક્શનની વ્યવસ્થા પૂર્વવત્ કરવા અને સમગ્ર વિસ્તારની સફાઈ કરવા માટે ઝુંબેશ હાથ ધરવાની માંગણી કરી છે. ગાડી બગડતાં બંધ હતી ગાડી બગડી ગઇ હતી. જેના કારણે ચાર પાંચ દિવસથી બંધ હતી. ગાડીની વ્યવસ્થા થતાં આજથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી છે. - બીજલભાઇ ભરવાડ, કાઉન્સીલર
નવી કરન્સી મેગા કેમ્પનું આયોજન:સંજેલી BOB ખાતે RBI દ્વારા નવી કરન્સી મેગા કેમ્પ યોજાયો
સંજેલી બેન્ક ઓફ બરોડા ખાતે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના માર્ગદર્શન હેઠળ કોઈન અને નોટ એક્સચેન્જનો મેગા કેમ્પ યોજાયો. સામાન્ય રીતે હોળી અને દિવાળીના તહેવારો દરમિયાન નવી કરન્સી ઉપલબ્ધ થતી હોય છે, પરંતુ આ વર્ષે RBI દ્વારા ખાસ ફાળવણી કરાતાં સંજેલી બ્રાન્ચમાં 1, 2, 5, 10 અને 20 રૂપિયાનાં સિક્કા તથા 10, 20 અને 50 રૂપિયાની કુલ સાડા 6 લાખની ચલણી નોટો ખાતેદારોને ઉપલબ્ધ કરાવી હતી. બ્રાન્ચ મેનેજર , કેશિયર અને જોઈન્ટ મેનેજર ની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કેમ્પમાં સંજેલી તથા તાલુકાના ગામોની બેન્ક ઓફ બરોડાના ખાતેદારો, વેપારીઓ, સેવા કેન્દ્ર ધારકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
અસમાજિક તત્વોના આતંકને નાથવાનો પ્રયાસ:ગોધરા પાસે પોલીસે ડ્રોન સર્વેલન્સ હાથ ધર્યું
ગોધરા તાલુકાના લીલેસરા, સારંગપુર, દયાળ કાંકરા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ડ્રોન કેમેરાની મદદથી સર્વેલન્સ હાથ ધર્યું હતું. રાત્રિના સમયે આ વિસ્તારોમાં અસમાજિક તત્વો સક્રિય રહેતા હોવાની તેમજ ગૌતસ્કરી અને ગેરકાયદે કતલ જેવા ગોરખધંધા ચાલતા હોવાની અનેક ફરિયાદો સ્થાનિક ગ્રામજનો તરફથી મળી રહી હતી. આ રજૂઆતોને ગંભીરતાથી લઈ જિલ્લામાં પોલીસ વડાએ તાત્કાલિક એક્શનમાં આવી મોટી પોલીસ કુમક સાથે રાત્રિ સર્વેક્ષણ અભિયાન ચલાવ્યું છે. ડ્રોન કેમેરાની મદદથી ગામોની આસપાસની શંકાસ્પદ હરકતો, મુખ્ય રસ્તાઓ, ખેતરવાડી વિસ્તારમાં થતી અવરજવર અને સંભાવિત સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટેકનોલોજી આધારિત આ મોનિટરિંગથી પોલીસને રાત્રિના સમયમાં ચાલતી કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે પ્રાથમિક ઇનપુટ પણ મળ્યા હોવાની માહિતી મળી છે. જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે પોલીસની અત્યંત પ્રાથમિકતા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ, ખાસ કરીને ગૌતસ્કરી કે અપરાધિક નેટવર્કને કોઈપણ કિંમતે પોસાય નહીં. પોલીસ સતત મોનિટરિંગ, રાત્રિ પેટ્રોલિંગ તથા સર્વેલન્સ વધારશે.
યોગ ટ્રેનર તાલીમ વર્ગનું આયોજન:દે. બારિયાના મહારાજા જયદીપસિંહ ઉદ્યાનમાં યોગ ટ્રેનર તાલીમ વર્ગ
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના મહારાજા જયદીપસિંહ ઉદ્યાનમાં યોગ કોચ રવેસીંગભાઈ દ્વારા જિલ્લા કો-ઓર્ડિનેટર રાહુલકુમાર પરમારની હાજરીમાં યોગ ટ્રેનર તાલીમ વર્ગ શરુ કરવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ ગામના લોકો વહેલી સવારે યોગ શિક્ષકની તાલીમ નિઃશુલ્ક લઇ રહ્યા છે. ચેરમેન યોગસેવક શીશપાલજી નાઓના માર્ગદર્શન હેઠળ આ તાલીમ ચલાવવામાં આવી રહી છે. જેનો મુખ્ય હેતુ લોકોને સ્વસ્થ અને નિરોગી રાખવાનો છે. દેવગઢ બારીયા વિસ્તારના યુવાનો અને યુવતીઓ આ તાલીમ પૂર્ણ કરી અલગ અલગ વિસ્તારમાં યોગ વર્ગ શરૂ કરશે. લોકોનું સ્વાસ્થ્ય જાળવી રાખવાના પ્રયાસો કરશે. આવનાર સમયમાં દરેક ગામ સુધી યોગ વર્ગ શરુ થાય તેવો લક્ષયાંક છે તે માટે આવા તાલીમ વર્ગ દાહોદ જિલ્લામાં શરુ કરેલ છે.આ તાલીમ લીધા પછી શૈક્ષણિક સંસ્થાઓ, શાળા કોલેજો, આયુર્વેદિક હોસ્પિટલો, સરકારી, અર્ધ સરકારી, ખાનગી જગ્યાઓ ઉપર સેવા આપી સ્વરોજગારી મેળવી શકશે. દાહોદ જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અલગ અલગ તાલુકાઓમાં કોચો દ્વારા કુલ 7 જગ્યાઓ ઉપર તાલીમ વર્ગ શરુ કરવામાં આવેલ છે. જેમાં દાહોદ-2, સંજેલી-1, લીમડી-1, સુખસર-1, દેવગઢ બારીયા-1, ધાનપુર-1, તેમજ આવનાર સમયમાં બીજા તાલુકાઓમાં પર આવી યોગ ટ્રેનર તાલીમ કક્ષાઓ શરુ કરવામાં આવશે. જિલ્લા કો-ઓર્ડીનેટર રાહુલકુમાર પરમાર તેમજ ધુળાભાઈ પારગીની દેખરેખ હેઠળ આ તમામ યોગ ટ્રેનર તાલીમ વર્ગ અને યોગ કક્ષાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
પાક નુકશાની સહાય:5201 ખેડૂતોને પાક સહાય પેટે 6.87 કરોડનું ચૂકવણુ
ઓક્ટોબર-નવેમ્બરમાં પડેલા કમોસમી વરસાદથી દાહોદ જિલ્લાના ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું હતું. ખાસ કરીને મકાઈ, ડાંગર, સોયાબીન જેવા પાકોને ભારે અસર થતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની હતી. પેકેજ અંતર્ગત ખેડૂતોને સહાય ચૂકવવાની પ્રક્રિયા હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ બાદ 698 ગામોમાં 55 હજાર હેક્ટરનો સર્વે કરાયો હતો. તેની સામે નુકસાનના વળતર માટે ખેડૂતો દ્વારા 70,536 અરજીઓ કરાઇ હતી. અરજીઓ સાથેના સાધનિક કાગળોની તપાસણી પુરજોશમાં ચાલુ હોવાથી 11,955 મંજૂર કરી છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સહાય મેળવવા માટે ખેડૂતો તરફથી વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. વહીવટી તંત્રના આંકડા મુજબ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કુલ 70,536 ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજીઓ નોંધાવી છે. આટલી મોટી સંખ્યામાં આવેલી અરજીઓની ચકાસણી અને ખરાઈની કામગીરી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કુલ 11,955 અરજીઓના લાભાર્થી ખેડૂતોને 6 કરોડ 87 લાખની સહાય ચૂકવાઇ છે. ઇલેક્ટ્રોનિક પેમેન્ટ ઓર્ડર જનરેટ થયા બાદ સહાયની રકમ મળે છે PFMS દ્વારા નાણાં ચૂકવવાની પ્રક્રિયામાં મુખ્યત્વે આધાર કાર્ડ અને NPCI ની ભૂમિકા મહત્ત્વની હોય છે. પ્રક્રિયાને આધાર પેમેન્ટ બ્રિજ સિસ્ટમ તરીકે પણ ઓળખે છે. NPCI ની સિસ્ટમમાં લાભાર્થીનો આધાર નંબર તેના કયા બેંક ખાતા સાથે જોડાયેલો છે તેનું મેપિંગ કરે બાદ NPCI તે લાભાર્થીની બેંકને સૂચના આપે છે અને NPCI તરફથી સૂચના મળતા ખેડૂતના ખાતામાં સીધી રકમ જમા થઇ જાય છે.
પંચમહાલમાં 13.48 લાખ મતદારમાંથી 13.21 લાખ મતદારોની કામગીરી પૂર્ણ કરી ડિઝીટાઇઝેશનની 98 ટકા કામગીરી થઇ છે. SIRની કામગીરીમાં 5 વિધાનસભામાંથી 48117 મૃતક મતદારો મળ્યા છે. જ્યારે ડબલ નામવાળા 6394 મતદારો, શીફટ થયેલ 48388 મતદારો સહિત કુલ 1.12 લાખ મતદારો નામ મતદાર યાદીમાંથી નામ હટી શકે છે. નો મેપીંગવાળા મતદારોના નામ શોધવા તથા પુરાવા એકત્રીક કરાશે. છેલ્લા નો મેપીંગ મતદારોને નોટીસ આપી પુરાવા સાથે હાજર રહેવા જણાવાશે. ત્યારે 1.12 લાખ મતદારોના નામ કમી થશે તો 12.36 મતદાર રહેવાની શકયતા છે. પંચમહાલમાં મતદારયાદી સુધારણમાં 1479 બીએલઓ સાથે સહાયક મુકતા SIRની કામગીરી ઝડપી બનતા કુલ 13,48,847 મતદારોમાંથી 12,08,971 ફોમ અપલોડ કરતા 90 ટકા કામગીરી પૂર્ણ કરી છે. જ્યારે બીજુ બાજુ BLO ધરે ધરે SIRના ફોર્મ લેવાં જતાં લ્લાની 5 વિધાનસભામાંથી 48117 મતદારો મૃતક નીકળ્યા છે. તેમજ 8706 મતદારો ગેરહાજર, 48388 મતદારો અન્ય જગ્યાએ શીફટ થયા છે. બીએલઓની કામગીરીમાં 6394 મતદારોના નામ ડબલ મળ્યા છે. જ્યારે 869 મતદારોએ અન્ય કારણો કે પછી SIRના ફોર્મ ભર્યા નથી. આમ કુલ 13.48 મતદારોમાંથી 13.21 ટકા મતદારોની માહીતીના આધારે ડિઝીટાઇઝેશનનુ કામ 98 ટકા પૂર્ણ થઇ છે. એસઆઇઆરની કામગીરીમાં કુલ 1.12 લાખ મતદારોઓ મૃતક, શીફટ, ગેરહાજર, ડબલ નામ વાળા હોવાથી આવા 1.12 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી હટી શકે તેમ છે. જ્યારે જિલ્લામાં નો મેપીંગનો આંકડો 4 ડીસેમ્બર સુધી 72488 છે. આ નો મેપીંગ વાળા મતદારોને છેલ્લે ચુંટણી વિભાગ નોટીસ આપીને પુરાવા સાથે હાજર રહેવાનું કહેશે. અને તેમાં પુરાવા યોગ્ય નહિ આવે તો નો મેપીંગમાંથી આધાર પુરાવા નહિ આપનાર મતદારોના નામ કમી થઇ શકે છે. પંચમહાલની 5 વિધાનસભા મત વિસ્તારમાંથી મૃતક, ડબલનામ, શીફટ થયેલા સહિતના 1.12 લાખ મતદારોના નામ કમી થાય તો જિલ્લામાં 12.36 લાખ મતદાર રહેશે. 6394ના નામ 2 યાદીમાં મળ્યા5 વિધાનસભામાં બીએલઓની કામગીરી દરમ્યાન 8706 મતદાર ગેરહાજર મળ્યા છે. તપાસમાં 6394 મતદારોના નામ ડબલ વખત મળ્યા છે. એટલે મતદારોના બે યાદીમાં નામ ચાલતા હોય તેવા મતદારો જે સ્થળે રહેવા માંગતા હોય તેના સિવાય સ્થળની યાદીમાંથી 6394 મતદારોના નામ કમી થશે. 869 મતદારો એવા છે કે જેઓ ફોર્મ ભરવાની ના પાડી હોય કે ફોર્મ ભર્યા ન હોય તેવાને આખરી તક આપ્યા બાદ નામ કમી થઇ શકે છે. હાલોલમાંથી 12517 મૃતક મતદારો મળી આવ્યાSIRની કામગીરીમાં મૃતકોના આંકડો ચોકાવનારો મળ્યો છે. 5 વિધાનસભામાં 48117 મતદારો મૃતક મળ્યા છે. જેમાં શહેરા 8518, મોરવા(હ) 6030, ગોધરા 11152, કાલોલ 9846, હાલોલ 12517 મૃતક મતદારો મતદાર યાદીમાંથી મળ્યા છે. 5 જિલ્લાના 48117 મૃતક મતદારોના નામ મતદાર યાદીમાંથી હટી જશે.
દારૂ ઝડપાયો:4 લાખના દારૂ તથા કાર સાથે બેની ધરપકડ
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે આંબોલી મેગજીન વગામાં મરઘા ફાર્મ નજીક ખેતર દારૂના કટીંગ વખતે જ દરોડા પાડ્યા હતા. પોલીસે દારૂ અલગ અલગ બ્રાન્ડ ની 840 બોટલ મળી 4.04 લાખ રૂપિયા નો દારૂ જપ્ત હતો. એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટર પી.જી ચાવડા અને ટીમ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે આંબોલી ગામના મેગજીન વગામાં મરઘા ફાર્મ નજીક ખેતરમાં કારમાંથી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહયો છે. પોલીસે દરોડો પાડતાં ખેતરમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની 840 બોટલ મળી આવી હતી. જેની કિમંત 4 લાખ રૂપિયા થવા જાય છે. કાર સહિત કુલ 6.69 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. સ્થળ પર થી પોલીસે કૈલાપ ઉર્ફે લાલો વસાવા અને યુવરાજ બારૈયાની ધરપકડ કરી હતી. જયારે તેની પૂછપરછ માં આંબોલીના અરવિંદ ઉર્ફે અચીન વસાવા અને હાંસોટના પાંજરોલીની સંધ્યા પટેલ દારૂ આપ્યો અને આપવાનો હોવાની કબુલાત કરતા પોલીસે તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
નર્મદા જિલ્લા ભાજપ અધ્યક્ષએ આક્ષેપો કર્યા:આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખને બરતરફ કરો : ભાજપ
નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ નિરંજન વસાવાના ભાઇ દારૂ સાથે ઝડપાયા બાદ ભાજપને આપ પર પ્રહારો તેજ કર્યા છે. નિરંજન વસાવાએ દારૂ પ્રકરણમાં ભાજપના નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો પર ગંભીર આક્ષેપો કરતો વિડિયો સોશિયલ મિડીયામાં મુકતા રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે જણાવ્યું હતું કે, નિરંજન વસાવા પહેલાં ભાજપમાં હતાં પણ ભાજપના નામે ઉઘરાણી કરતાં હોવાથી તેમને હાંકી કાઢવામાં આવ્યાં હતાં. બાદમાં તે બીટીપીમાં જોડાયાં હતાં. હાલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ને ત્યાં પણ ચૈતરભાઈના નામે ઉઘરાણું કરી રહયો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નિરંજન વસાવા પર અગાઉ 10 કેસ થયા છે. નિરંજન વસાવા પોતાની જગ્યાએ ડમી ઉમેદવાર બેસાડી પરીક્ષા આવનાર ડીગ્રી ચોર છે. તેની પાસે ગ્રેજ્યુએટ ની ડિગ્રી હોય તો બતાવે, મોટા બંગલા અને હોટેલો બનાવી છે પણ તેમાં વીજળી કરતા ઝડપાયા છે.
રાષ્ટ્રીય એકતા માર્ચના આગમન પહેલાં રાજપીપળામાં સફાઇ અભિયાન વેગવંતુ બનાવી દેવામાં આવ્યું છે. યુનિટી માર્ચ જે માર્ગ પરથી પસાર થવાની છે તેને ચોખ્ખા ચણાક બનાવી દેવામાં આવ્યાં છે. રાષ્ટ્રીય યુનિટી માર્ચનું નર્મદા જિલ્લામાં આગમન પૂર્વે રાજપીપલા નગરમાં સ્વચ્છતાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. શહેરના રસ્તાઓ અને જાહેર સ્થળોને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવા માટે સ્વચ્છતાકર્મીઓ સતત કાર્યરત છે. યુનિટી માર્ચ અને તેને અનુલક્ષીને યોજાતી તમામ ઉજવણી માટે પર્યાવરણ અનુકૂળ રહે. સ્વચ્છતા કર્મીઓ અને સ્વયંસેવકોની સતત મહેનત શહેરને સ્વચ્છ બનાવવામાં અસરકારક સાબિત થઈ છે. તેમના કાર્યને નગરજનો અને વહીવટી તંત્ર તરફથી બિરદાવવામાં આવ્યું છે. તેમની જવાબદારી પૂર્વકની કામગીરી, સંપૂર્ણ પ્રજાને સ્વચ્છતા તરફ પ્રેરણા આપતી દેખાય છે અને રાષ્ટ્રીય યુનિટી માર્ચના મહત્વપૂર્ણ અવસરને સફળ બનાવવા મુખ્ય યોગદાન આપી રહી છે. યુનિટી માર્ચ જે માર્ગ પરથી પસાર થવાની છે ત્યાં રસ્તાઓ પરથી ધૂળ હટાવવાની સાથે ડીવાઇડર અને રેલિંગ પણ સાફ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય યુનિટી માર્ચનું કેવડિયા કોલોની ખાતે સમાપન થશે.
દર્દીઓને રાહત:નર્મદામાં સિકલસેલના દર્દીઓ માટે રાજય સરકારે રૂપિયા 1 કરોડ ફાળવ્યાં
નર્મદા જિલ્લા 11 માસથી સહાયથી વંચિત રહી જતા સિકલસેલ અને એનિમિયાનાં દર્દીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા હતા. આ મુદ્દે દિવ્યભાસ્કરના એહવાલ બાદ ગણતરીના દિવસોમાં જ સરકારે સિકલસેલના દર્દીઓ માટે સરકારે એક કરોડ રૂપિયા ફાળવતા સિક્લસેલ અને એનિમિયાનાં દર્દીઓમાં ખુશીની લાગણી છવાઈ છે. નર્મદા જિલ્લાના 1700 થી પણ વધુ સિકલસેલના દર્દીઓ છેલ્લા 11 માસથી સરકારી સહાયથી વંચિત છે. આવા દર્દીઓ જરૂરી વધુ સારવાર અર્થે સરકારી સહાયનો ઉપયોગ કરી અન્ય હોસ્પિટલમાં જતા હોય છે. જે સહાયના અભાવે આવા દર્દીઓ યોગ્ય સારવારથી વંચિત રહી જાય છે. આ મુદ્દે નર્મદા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિતાબેન વસાવાએ ગુજરાત સરકારને એક પત્ર પણ લખ્યો હતો. સરકાર સફાળી જાગી છે અને નર્મદા જિલ્લાના સિકલસેલ એનિમિયાના દર્દીઓ માટે 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે. આ બાબતે નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિતા વસાવાએ જણાવ્યું હતું કે સરકારે સિકલસેલ એનિમિયાના દર્દીઓ માટે 2 મહિનાની સહાય પેટે 1કરોડ રૂપિયા ગ્રાન્ટ મંજૂર કરી દીધી છે. જે ટૂંક સમયમાં એમને મળી જશે, આગામી સમયમાં બાકીની સહાય માટે પણ સરકાર ગ્રાન્ટની ફાળવણી કરશે.
પોલીસકર્મી સામે રાવ:પોલીસકર્મીએ 2016માં 75 હજારની લાંચ લીધી, સીડીનો રીપોર્ટ આવતાં ગુનો નોંધાયો
જંબુસરના પોલીસ કર્મચારીએ 2016માં એક અરજદાર પાસે 75 હજારની લાંચ લીધી હતી. અરજદાર અને પોલીસ કર્મચારી વચ્ચે લાંચ બાબતે થયેલી વાતચીતની સીડીને વધુ તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવી હતી. જેનો રીપોર્ટ તથા ખાતાકીય તપાસ બાદ પોલીસ કર્મચારીએ 75 હજારની લાંચ લીધી હોવાનું ફલિત થતાં તેની સામે લાંચ રૂશ્વત વિરોધી શાખાએ ગુનો દાખલ કર્યો છે. આરોપી પોલીસ કર્મચારીનો હાલનો પગાર માસિક 80 હજાર રૂપિયા છે. ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરોએ જંબુસર પોલીસ સ્ટેશનના વર્ગ-3ના સશસ્ત્ર પોલીસકર્મી નારણ ફતુભાઈ વસાવા સામે ₹75,000ની લાંચ લેવાનો ગુનો નોંધ્યો છે. અરજદારને એક તપાસ પ્રકરણમાં હેરાન ન કરવા બદલ આ લાંચની માંગણી કરવામાં આવી હતી. અરજદાર અને પોલીસ કર્મચારી વચ્ચે થયેલી વાતચીત એક સીડીમાં રેકોર્ડ કરી લેવામાં આવી હતી. આ સીડીને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવી હતી. આખી ઘટના 2016ની સાલમાં બની હતી. બંને વચ્ચે થયેલી વાતચીતમાં આરોપીએ પ્રથમ ₹70,000 અને પછી પતાવટ પેટે ₹5,000 એમ કુલ ₹75,000ની લાંચ માંગી હતી અને 75 હજાર રૂપિયા સ્વીકાર્યા હતાં. સીડીનો રીપોર્ટ અને ખાતાકીય તપાસ બાદ અંતે આરોપી પોલીસ કર્મચારી સામે ફરિયાદ નોંધવામાં આવી છે.રીપોર્ટ તથા ખાતાકીય તપાસ બાદ પોલીસ કર્મચારીએ 75 હજારની લાંચ લીધી હોવાનું ફલિત થતાં તેની સામે લાંચ રૂશ્વત વિરોધી શાખાએ ગુનો દાખલ કર્યો છે. આરોપી પોલીસ કર્મચારીનો હાલનો પગાર માસિક 80 હજાર રૂપિયા છે. તપાસ વડોદરા એસીબીના પીઆઇ ચૌહાણ ચલાવી રહયાં છે. આરોપી પોલીસ કોન્સટેબલનો હાલનો પગાર 80 હજાર રૂપિયા હોવાની વિગતો સામે આવી છે.
વેધર રિપોર્ટ:ભરૂચ જિલ્લામાં સવારમાં ઠંડી અને દિવસે ગરમી અનુભવાય
ભરૂચ જિલ્લામાં ઠંડી અને ગરમી બન્ને ઋતુ એક સાથે અનુભવાય રહી છે. જેમાં બે દિવસથી વહેલી સવારે ઠંડી તો દિવસ દરમિયાન ગરમી અનુભવાઇ હતી. જોકે આજે લઘુત્તમ તાપમાન ફરી વધીને 20 ડિગ્રી થયું છે. જેથી ફરી ગરમીનું પ્રમાણ વધ્યું છે. જોકે વહેલી સવારે ઝાકળ પડી રહી છે. આમ દિવસ દરમિયાન જિલ્લાનું મહત્તમ તાપમાન વધીને 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ ઘટીને 26 થી 54 ટકા અને પવનની ગતિ માં વધારો થઈને 15 કિમી પ્રતિ કલાકની રહી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 19 થી 20 અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી સુધી રહેવાની શક્યતા સેવાઇ રહી છે. હાલ પવનની ગતિ માં વધારો થતાં ખેડૂતોએ પવનની ગતિ ધીમી થયા બાદ દવાનો છંટકાવ કરી શકશે. જે ખેડૂતોનો કપાસ પાક તૈયાર થઈ ગયો હોય તેમને વીણી કરવા માટે સલાહ આપી છે.
જવાહરલાલ નહેરુ ની નીતિઓના કારણે દેશના ભાગલા પડયાં હતાં પણ સરદાર વલ્લભભાઇ પટેલે અખંડ ભારત બનાવીને એકતાનું સૂત્ર આપ્યું હતું તેમ રાજયના ઉર્જા મંત્રી ઋુષિકેશ પટેલે ભદામ ખાતે જણાવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતા, પર્યાવરણ સંરક્ષણ તેમજ સામાજિક જવાબદારીનો સંદેશ આપતી રાષ્ટ્રીય એકતા માર્ચ નર્મદા ના પોઇચાથી ભદામ ગામ ખાતે આવી પહોંચી હતી ત્યાંથી વડિયા વાવડી સુધી પહોંચી હતી. મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ સરકાર પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, પંડિત જવાહરલાલ નહેરુની નીતિઓને લઈને ભાગલા પડ્યા સરદાર સાહેબે અખંડ ભારત બનાવી એકતાનું સૂત્ર આપ્યું હતું. હજુ પણ દેશમાં કેટલાક ભાગલા પડવાની કોશિશ કરવામાં આવી રહી છે. પોઇચા ગામ ખાતે ગામેથી કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રા, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર મંત્રી ઇશ્વર પટેલ, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા સહિત સાંસદ મનસુખ વસાવા અને જશુભાઈ રાઠવા ડો.દર્શનાબેન દેશમુખ, પાલિકા પ્રમુખભાજપ પ્રમુખ નીલ રાવ સહિત આગેવાનો હાજર રહયાં હતાં.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:કચ્છનો રણોત્સવ વિશ્વ માટે કેસ સ્ટડી : સીએમ
કચ્છની સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંગમ સાથેનો રણોત્સવ ભારતની આગવી ઓળખ છે. અને વિશ્વ માટે એક કેસ સ્ટડી છે. પ્રવાસન વિકાસ થકી સ્થાનીક અર્થતંત્રને ફાયદો થયો છે. નવી સુવિધાઓ ઉભી થવાથી સહેલાણીઓને ફાયદો થશે તેવું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધોરડો ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં જણાવ્યું હતું. મુખ્યમંત્રી હવાઈ માર્ગે ભુજ એરપોર્ટ અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે ધોરડો હેલીપેડ ખાતે પહોંચ્યા હતા જ્યાં વિવિધ મહાનુભાવો દ્વારા સ્વાગત કરાયું હતું. કાર્યક્રમ સ્થળે સીએમની હાજરીમાં 179 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ધોરડોમાં 54 કરોડના ખર્ચે ઉભી કરવામાં આવેલી સુવિધા ખુલ્લી મુકવામાં આવી હતી. જેમાં 2500 મીટરના સાયકલ ટ્રેક, 3500 મીટરનો રસ્તો તેમજ પીપીપી મોડથી ટેન્ટસિટી માટે 60 એકરની ઉબડખાબડ જમીન સમતલ કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું છે. આવતા વર્ષથી અહીં નવી ટેન્ટસીટી શરૂ થશે ઉપરાંત ઇકો ટુરીઝમ રિસોર્ટ અને કેરેવાન ટુરીઝમ ડેવલોપ થઈ શકશે. આ ઉપરાંત લખપત કિલ્લામાં 18 કરોડના ખર્ચે જ્યારે હેરીટેજ વિલેજ તેરામાં 17 કરોડના ખર્ચે પ્રવાસન સુવિધા ઉભી થશે તેનું ખાતમુહૂર્ત કરાયું હતું.ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ દ્વારા 90 કરોડના ખર્ચે ગોરેવલીથી વોચ ટાવર સુધી નવો વિલેજ બાયપાસ રસ્તો બનાવવામાં આવશે તેનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. મુખ્યમંત્રીએ આજે પૂનમ અને ગુરૂ દતાત્રેય જ્યંતી હોવાથી કાળા ડુંગરે બિરાજતા ગુરૂ દત્તાત્રેયને વંદન કર્યા હતા. તેઓએ જણાવ્યું કે, અન્ય કોઈ જગ્યાએ રણ એટલે ઉજ્જડ વેરાન ભુમી પણ ગુજરાતમાં જ્યારે રણ શબ્દ બોલાય ત્યારે લોકોના મનમાં રણ ઉત્સવ યાદ આવે છે કચ્છના રણને પ્રવાસનનું તોરણ અને દુનિયાભરના પ્રવાસીઓ માટે ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવી શકાય તેવો વિચાર માત્ર અને માત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવી શકે. વડાપ્રધાને વર્ષ 2005માં ફક્ત ત્રણ દિવસના આયોજન સાથે રણ ઉત્સવની શરૂઆત કરાવી ત્યારે તેઓએ કહ્યું હતું કે એક દિવસ એવો આવશે કે વિશ્વભરમાંથી પ્રવાસીઓ અહીં આવશે અને કચ્છની સંસ્કૃતિને માણશે. સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંગમથી રચાયેલું આ મોડલ વિશ્વભરના દેશો માટે કેસ સ્ટડી બન્યો છે. આ વેળાએ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અનિરુદભાઈ દવે, પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્રકુમાર, મેનેજીંગ ડાયરેક્ટર પ્રભવ જોશી, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રાંત અધિકારી અનિલ જાદવ સહિતના હાજર રહ્યા હતા. ક્રાફ્ટ બજાર, સખી ક્રાફ્ટ અને થીમ પેવેલિયનમાં સંવાદમુખ્યમંત્રી રણોત્સવની ક્રાફ્ટ બજાર, સખી ક્રાફ્ટ અને ગુજરાત ટુરિઝમ દ્વારા સંચાલિત થીમ પેવેલિયનની મુલાકાત લઈને કચ્છી સંસ્કૃતિ, વિરાસત અને અદ્ભુત હસ્તકલાને નજીકથી નિહાળી હતી. કારીગરોની અદભુત કલાકારીગરીનું જીવંત નિદર્શન નિહાળ્યું હતું. કૃતિઓ વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી. કચ્છી શાલના કલા કારીગરોએ તેમનું સન્માન કર્યું હતું. મુખ્યમંત્રીએ ઢોલક, રાવણહથ્થો, જોડિયા પાવા જેવા પરંપરાગત વાજિંત્રોની માહિતીમાં રસ દાખવ્યો હતો. સખી મંડળની બહેનોએ લોકગીત રજૂ કર્યું હતું. લખપતિ દીદી પેવેલિયનની મુલાકાત લીધી હતી. વિવિધ હેન્ડીક્રાફ્ટના પ્રદર્શનો નિહાળી મહિલા કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રવાસન વિભાગના મેનેજીંગ ડાયરેક્ટર પ્રભવ જોશી સાથે સીધીવાતકચ્છમાં રણોત્સવનો આરંભ થયો છે આ સાથે ચાલુ પ્રવાસન સીઝનમાં માંડવીમાં બીચ ફેસ્ટીવલ અને ધોળાવીરામાં હેરિટેજ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. માંડવીમાં 21 થી 31 ડિસેમ્બર સુધી બીચ ફેસ્ટીવલ યોજાશે જેમાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી, બીચ ગેમ્સ, સેન્ડ આર્ટ, બીચ સ્પોર્ટ્સ, ફૂડ એન્ડ ક્રાફટ સ્ટોલ, કલચરલ એક્ટિવિટી સહિતનું આયોજન થશે. આ ઉપરાંત સંભવત જાન્યુઆરીમાં વૈશ્વિક વિરાસત ધોળાવીરા ખાતે હેરીટેજ ફેસ્ટિવલ યોજવામાં આવશે જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કલાકારો આવશે.પ્રવાસન વિભાગ દ્વારા કચ્છ જિલ્લાને ટોપ પ્રાયોરિટીમાં ગણવામાં આવ્યો છે સહેલાણીઓ કચ્છ આવે અને પ્રવાસન સુવિધાઓ માણે તેવી અપીલ કરું છું. મુખ્યમંત્રી રણમાં પહોંચ્યા, સહેલાણીઓએ કહ્યું ‘રણ ખૂબ મસ્ત છે’ભૂપેન્દ્ર પટેલે રણોત્સવનો વિધિવત પ્રારંભ કરાવતા પૂર્વે ધોરડોના અફાટ આકાશમાં આથમી રહેલા નયનરમ્ય સૂર્ય અને રણની સફેદીનો નજારો માણ્યો હતો. સાથે કેમલ સફારીની સવારી કરીને રણની રમણીય સુંદરતાને નિહાળી હતી. તેમજ રણ જોવા આવેલા પ્રવાસીઓ સાથે સંવાદ કરીને અનુભવો વિશે જાણકારી મેળવી હતી. પ્રવાસીઓએ રણ બ્યુટીફૂલ હોવાનું કહ્યું હતું. મુખ્યમંત્રીએ પ્રવાસીઓ સાથે ફોટો પડાવીને તેમના પ્રવાસને યાદગાર બનાવ્યો હતો. રણોત્સવની શરૂઆત થઈ ત્યારથી મારું જોડાણ છે : પ્રવાસન સચિવપ્રવાસન સચિવ રાજેન્દ્રકુમારે જણાવ્યું કે, વર્ષ 2005મા પહેલો રણોત્સવ ખારાઘોડામાં ત્રણ દિવસનો થયો હતો. ત્યારે હું ગુજરાતમાં નોકરીએ જોડાયો અને તાલીમી સમયગાળામાં હતો. અને રણોત્સવની સ્થળ પસંદગી માટે આવ્યો હતો. આજે 3 દિવસનો ઉત્સવ 100 દિવસનો મહોત્સવ બની ગયો છે. આજે 100 દિવસના મહોત્સવમાં ગત વર્ષે 10 લાખ પ્રવાસી આવ્યા હતા. રણોત્સવ થકી ઇકોનોમીને પણ ફાયદો થઈ રહ્યો છે. આવતા વર્ષથી નવી ટેન્ટસીટીનો પ્રવાસીઓને ફાયદો થશે.
ગુરુદત્ત જયંતિની ઉજવણી કરાઈ:અબડાસા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ગુરુદત્ત જયંતિની ઉજવણી કરાઈ
અબડાસા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ગુરુદત્ત જયંતિની ઉજવણી કરાઈ હતી. દર વર્ષ મુજબ માગશર સુદ પુનમના ગુરૂદત્ત જયંતીએ નલિયા ખાતે યોજાઈ હતી. જેમાં અબડાસા તાલુકાના દશનામ ગોસ્વામી સમાજના ભાઇઓ મોટી સંખ્યામાં હાજર રહી કલ્યાણેશ્વર મહાદેવથી જંગલેશ્વર મહાદેવ મંદિર સુધી શોભાયાત્રા (રવાડી) કાઢવામાં આવી હતી. સામાન્ય સભા અને સ્નેહમિલન યોજાયું હતું. જેમાં સમાજ વિકાસના મુદ્દાઓ, શિક્ષણ, આરોગ્ય સહિત આગામી સમયમાં સમૂહલગ્ન યોજવા અંગે ચર્ચા કરાઈ હતી. અબડાસા તાલુકા દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ અશોકપુરી, મહામંત્રી નારાણગીરી, મંત્રી સુનિલગીરી, ટ્રસ્ટી પ્રવીણગીરી તેરા, રમેશગીરી લખાણિયા, મહેશગીરી ભાચુડા, જીતેન્દ્રગીરી, વડીલો ભીમગિરિ, ખીમગીરી, કિશોરગીરી, ગવરીગીરી, નલિયા પ્રમુખ તુલસીગીરી, અભયગીરી વગેરે હાજર રહ્યા હતા. મહિલા મંડળ દ્વારા રાસ ગરબા યોજાયા હતા. સંચાલન હિરેનગીરી ગોસ્વામી અને આભાર વિધિ મહેશગીરીએ કરી હતી.
માંડવી તાલુકાના લુડવા ગામે મેઘવંશી ગુર્જર ગરવા સમાજ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા બાબા રામદેવજી મહારાજના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં ગણપતિ પૂજન, જલયાત્રા, શિખર રોપણ, મૂર્તિ પ્રતિષ્ઠા, ધ્વજારોહણ, શ્રીફળ હોમ, પાટકોરી, મહા પ્રસાદ જેવા કાર્યક્રમો યોજાયા હતા. રાત્રે ભોજાયના યક્ષ બૌતેરા ગૌસેવા રામા મંડળે રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર (આખ્યાન) રજૂ કર્યું હતું. તમામ શાસ્ત્રોક્ત વિધિ ખુશાલ મારાજે કરી હતી. આ પ્રસંગે રામદેવજી મહારાજના પગલાં મંદિર ફરાદીના ગાદીપતિ તુંવર દિલીપસિંહ બાપુ, ગઢશીશા અંબેધામના આઈ ચંદુમા, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, સાંસદ વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના નિર્માણમાં મુખ્ય દાતા રામપર વેકરા હાલે નેરોબી (કેન્યા) નિવાસી શાંતિલાલ વેલજી ભંડેરી તથા તેમના ધર્મપત્ની ધનુબેન શાંતિલાલ ભંડેરીએ 3.51 લાખનું દાન આપ્યું હતું. એમનું સમિતિ દ્વારા સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમમાં લુડવા તથા આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મંદિરના નિર્માણ તથા પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં પ્રમુખ નાનજીભાઈ ચાવડા, મંત્રી રમેશભાઈ ગરવા, ખજાનચી દિનેશભાઈ ચાવડા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
સરહદી સુરક્ષાની સમીક્ષા:IAFના એર માર્શલની નલિયા એરબેઝ ખાતે મુલાકાત
દેશ માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવતા નલિયા એરફોર્સ સ્ટેશનની ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમ હવાઈ કમાન્ડના એર માર્શલ નાગેશ કપૂરે મુલાકાત લીધી હતી. તેઓએ જવાનોને સંબોધિત કર્યા બાદ ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે તાલીમ, ટેકનોલોજીકલ એકીકરણ અને નાગરિક લશ્કરી સંપર્કના મહત્વ પર ભાર મૂક્યો હતો. નોંધનીય છે કે કચ્છની સરહદ દેશમાં વાયુસેનાના માટે સૌથી સંવેદનશીલ ઓપરેશનલ ઝોનમાં છે. એર માર્શલ કપૂરે એરમેન અને અધિકારીઓની કામગીરી, શિસ્ત અને સજ્જતાને વખાણી હતી. તેમણે ઓપરેશનલ રેડીનેસની સમીક્ષા કરી અને વિવિધ વ્યૂહાત્મક અભ્યાસો તથા ઇન્ડિયન એર ફોર્સમાં ચાલતી અદ્યતન ટેક્નોલોજી અને ડિજિટલ સિસ્ટમ્સના અપગ્રેડેશન્સવિશે ચર્ચા કરી હતી.
તંત્ર દ્વારા નિર્માણમાં વિલંબ:‘વેસ્ટર્ન મોસ્ટ રેલવે સ્ટેશન’નલિયા પ્રવાસી ટ્રેનની રાહમાં
કચ્છના અબડાસા તાલુકાના નલિયા રેલવે સ્ટેશનને 25 વર્ષના સમયગાળા પછી પુનઃ ભારતના વેસ્ટર્ન મોસ્ટ રેલ્વે સ્ટેશનનું બિરુદ પાછું મેળવ્યું છે. પણ આ રેલવે સ્ટેશનથી હજુ સુધી પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં ન આવતા આશ્ચર્ય સર્જાયું છે. ભૂકંપ પહેલા મીટરગેજ લાઈન વખતે પણ નલિયા વેસ્ટર્ન મોસ્ટ રેલ્વે સ્ટેશન ગણાતું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2024માં ભુજ નલિયા રેલ્વે લાઈનને રાષ્ટ્રને અર્પણ કર્યા બાદ આ રૂટ પર હાલમાં માલવાહક ટ્રેનનું આવાગમન ચાલુ છે. પણ 21 મે 2025ના ઇલેક્ટ્રીક પેસેન્જર ટ્રેનની ટ્રાયલ સફળતાપૂર્વક થઈ ગઈ હોવા છતાં ગમે તે કારણોસર નલિયા સુધી પેસેન્જર ટ્રેન ચાલુ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. ભુજ સુધી આવતી લાંબા અંતરની ટ્રેનોને નલિયા સુધી લંબાવવા માટે પીટ લાઈનનો અભાવ જેવી કેટલીક ટેકનીકલ મુશ્કેલીઓ કારણભૂત ગણાવાઈ રહી છે. નલિયા સ્ટેશનને પીટ લાઇનનું નિર્માણ જ્યારે થાય ત્યારે ખરું પણ ત્યાં સુધી ગાંધીધામ સુધી સુધીની લોકલ ટ્રેનો ચલાવવા હાલમાં કોઈ મુશ્કેલી નથી. આ રૂટ પર ઇલેટ્રિફીકેશનનું કામ પણ ફેબ્રુઆરી 2025માં પૂર્ણ થઈ ગયું છે. જેથી લોકલ ટ્રેનો શરૂ કરવા લોકોમાં ખૂબ જ લાગણી પ્રવર્તી રહી છે. ભારતની ચાર દિશામાં આવેલા અંતિમ રેલવે મથક નલિયાથી આસામને રેલમાર્ગે જોડતી ‘ભારત જોડો’ ટ્રેન શરૂ થાય તો દેશની એકતા - અંખડિતતા દેખાશેખરેખર તો નલિયાના વેસ્ટર્નમોસ્ટ રેલ્વે સ્ટેશન તરીકેના મહત્વને પીછાણી રેલવે તંત્રે અહીં પી ટલાઈનનું તાત્કાલિક નિર્માણ કરવું જોઇએ. અને ત્યારબાદરી ઇસ્ટર્ન મોસ્ટ રેલવે સ્ટેશન મુર્કીગસેલેક (આસામ) સુધીની સળંગ ટ્રેન દોડાવાયના પ્રયાસો કરવા જોઈએ તેવી રેલ પ્રેમીઓની લાગણી છે. જો ટ્રેન શરૂ થાય તો પશ્ચિમના અરબસાગરથી પૂર્વમાં હિમાલયની તળેટી સુધી ભારત એક રેલમાર્ગથી જોડાઈ જશે. આ માત્ર પ્રવાસીઓને માટે જ નહીં પરંતુ દેશના વિવિધ પ્રાંતો, સંસ્કૃતિઓ અને જનસમુદાયોને એકસૂત્રમાં બાંધવાનો ઐતિહાસિક કદમ સાબિત થઈ શકે છે.
હિટ એન્ડ રન કેસ:ધ્રબમાં પગપાળા જતા વયસ્કનું અજાણ્યા વાહનની હડફેટે મોત
મુન્દ્રા તાલુકાના ઔદ્યોગિક પરા સમાન ધ્રબ મધ્યે ગત રાત્રે બનેલા એક હિટ એન્ડ રનના બનાવમાં પગપાળા જઈ રહેલા વયસ્કને અજાણ્યા વાહને હડફેટે લેતાં તેનું ગંભીર ઇજા થતાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પોલીસ દફતરેથી હતભાગી મૃતકના પુત્ર ઈશ્વરભાઈ રઈજીભાઈ પરમાર (ઉ.વ.46 રહે ખેડોલ તા કપડવંજ-ખેડા)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત વિગત મુજબ બુધવારે ઢળતી સાંજે 6.15 વાગ્યા અરસામાં ધ્રબ સ્થિત પોર્ટ રોડ પર હોટલ ટીજીઆર નજીક બનેલ બનાવમાં રખડતું ભટકતું જીવન જીવતા અને સંસારનો ત્યાગ કરી ચૂકેલા પગપાળા જઈ રહેલા તેમના પિતા નેકોઈ અજાણ્યા વાહને બેદરકારી પૂર્વક હડફેટે લેતાં તેમને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. બનાવને પગલે તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે સ્થાનિક સામુહિક આરોગ્ય કેન્દ્ર બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.પરંતુ ત્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. મુન્દ્રા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ બેદરકારી પૂર્વક વાહન ચલાવી અકસ્માત કરવાનો ગુનો દર્જ કરી તેને દબોચી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.
કચ્છમાં ખનીજ ચોર બેફામ બન્યા હોય તેમ અવાર નવાર તંત્ર દ્વારા કાર્યવાહી કરી ગેરકાયદેસર ખનન ઝડપી લેવામાં આવે છે તેવામાં હવે જિલ્લાની ટાસ્ક ફોર્સ ટીમ અને નખત્રાણા પ્રાંત અધિકારીની સંયુક્ત કાર્યવાહીમાં નિરોણાની નદીમાં થતી રેતી ચોરી પર કાર્યવાહી કરવામાં આવી છે જેમાં એક ટ્રક અને બે લોડર કબ્જે કરવામાં આવ્યા છે. જિલ્લામાં ખનિજ ચોરીને અટકાવવા કલેક્ટર દ્વારા ટાસ્ક ફોર્સ ટીમ બનાવવામાં આવી છે.ગુરુવારે નખત્રાણા પ્રાંત અધિકારી અને ટાસ્ક ફોર્સ ટીમે બાતમીને આધારે નિરોણા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.જેમાં ગામની ભરૂડ નદીમાંથી સાદી રેતીનું ગેરકાયદેસર ખનન ઝડપી લેવામાં આવ્યું છે. સ્થળ પરથી એક ટ્રક તથા બે લોડર કબ્જે કરવામાં આવ્યા છે. ટ્રક નંબર જીજે 09 એવી 9379 જેના ડ્રાઈવર કાસમભાઈ ખાડુ ભીયા રહે. કોટડી જેના માલિક કિશોરભાઈ નારણભાઈ આહિર રહે.નિરોણા,લોડર નંબર જીજે 12 સીએમ 9096 ના માલિક ઇમરાન હુશેન જત રહે.સુમરાસર જેના ડ્રાઇવર ખેતશી મમુભાઈ આહિર રહે.નિરોણા તથા લોડર નંબર જીજે 13 એડી 1261 ના ડ્રાઈવર મુકેશભાઈ જેઠાભાઈ આહિર રહે નિરોણા જેના માલિક પુંજાભાઈ ભીમજીભાઈ આહિર રહે.નિરોણા વાળાઓની તપાસ કરતાં અંદાજીત 44 લાખનું મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં સ્થળ પર થયેલ ખાડાઓની માપણી તેમજ આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે અને કબ્જે કરેલો મુદામાલ નિરોણા પોલિસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે.ઉલ્લેખનીય છે કે,વર્ષ 2024 માં પણ નખત્રાણા પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી કરી નિરોણા વિસ્તારમાંથી ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી.તેવામાં હવે વધુ એક કાર્યવાહી કરાઈ છે.
લોકાર્પણ:ધોરડો ખાતે 562 વૃક્ષોના વાવેતર સાથે ભારતના નક્શાના આકાર પામેલ ‘સરદાર સ્મૃતિ વન’નું લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોરડો ખાતે વન વિભાગ દ્વારા નિર્માણ કરાયેલા “સરદાર સ્મૃતિવન”માં વૃક્ષારોપણ કરીને વનને ખુલ્લું મૂક્યું હતું. અખંડ ભારત, એક ભારતના સરદાર વલ્લભભાઈ પટેલના વિચારને સાકાર કરતાં સરદાર સ્મૃતિવનમાં 562 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ પારસ પીપળાના વૃક્ષનું વાવેતર કરીને વનનું લોકાર્પણ કર્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં સામાજિક વનીકરણના નાયબ વન સંરક્ષક જયનકુમાર પટેલ, મદદનીશ વન સંરક્ષક પી.એન.વાઘેલા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર.જે.દેસાઈ તથા વન વિભાગનો ફિલ્ડ સ્ટાફ સાથે બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહેલ હતાં. 10 હેક્ટરમાં ગાંડો બાવળ દૂર કરી નિર્માણ થયું સરદાર સ્મૃતિવનઆ ઉજવણી અંતર્ગત રાજ્યની દરેક વિધાનસભા બેઠક દીઠ એક પદયાત્રા તથા “એક પેડ- મા કે નામ” અભિયાન હેઠળ દરેક વિધાનસભા વિસ્તારમાં ‘’સરદાર સ્મૃતિ વન’’ સ્થાપિત કરવાની યોજના બનાવવામાં આવી છે, જેમાં કુલ 562 વૃક્ષોનું વાવેતર કરવાનું છે. આ અનુસંધાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે ફેજ-૧ માં ધોરડો ટેન્ટસીટી ખાતે 10 હેકટર વિસ્તારમાં ગાંડા બાવળને દૂર કરી સ્થાનિક પ્રજાતીના વૃક્ષોનું વાવેતર કરી ‘’સરદાર સ્મૃતિ વન’’નું નિર્માણ કરવામાં આવ્યું છે.
બપોરના 2 વાગીને 27 મિનિટ થઈ રહી છે. હું અત્યારે એક એવી ખંડેર ઇમારતની અંદર કાટમાળ વચ્ચે ઊભો છું, જે એક સમયે આખા વિશ્વના મીડિયાની હેડલાઇન હતી. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી અતુલ્યમ ઇમારત. જ્યાં 12 જૂનની બપોરે 1 વાગીને 38મી મિનિટે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું. જેમાં સવાર 241 લોકોને બચવાનો જરાય મોકો ન મળ્યો. આ હોસ્ટેલમાં રહેતા ડોક્ટર પણ આભમાંથી આવેલી આફતમાં મોતને ભેટ્યા. કુલ મૃત્યુ આંક 260 હતો. એક સમયે ડોક્ટરોનું સરનામું ગણાતી અતુલ્યમ હોસ્ટેલ નામની ચાર ઇમારતની ઓળખ હવે લોકોના મનમાં જ નહીં, ગૂગલ મેપ પર પણ પ્લેન ક્રેશ સાઇટ 171ની બની ચુકી છે. છેલ્લા 6 મહિનામાં આ ઇમારતની અંદર દેશની વિવિધ ઇન્વેસ્ટિગેશન ટીમ અને એવિએશન એક્સપર્ટ તપાસ કરી ચૂક્યા છે. અગાઉ અહીંયાં ઘણા પોલીસ જવાનો 24 કલાક પહેરો ભરતા હતા. હવે થોડા દિવસ પહેલાં જ આ ઇમારતની સુરક્ષા હળવી કરવામાં આવી છે. એટલે હું પરમિશન લઈને મારા સહયોગી રવિ રાજપૂત સાથે ક્રેશ સાઇટ પર પહોંચ્યો. 12 જૂને અમદાવાદ એરપોર્ટથી ઉડેલું પ્લેન સૌથી પહેલાં મેસની ઇમારત સાથે ટકરાયું. ત્યાર બાદ અતુલ્યમ 4, અતુલ્યમ 3, 2 અને 1 એવી રીતે કુલ પાંચ ઇમારતો પર પડ્યું. એટલે મેં પણ ખંડેર બની ચૂકેલી મેસની બિલ્ડિંગથી ક્રેશ સાઇટને જોવાનું નક્કી કર્યું. પ્લેન ક્રેશની ઘટના પછી ઘણા દિવસો સુધી અહીંયાંથી ડેડબોડી કાઢવા તેમજ કાટમાળ ખસેડવાનું કામ ચાલ્યું હતું. હું પણ અહીંયાં રિપોર્ટિંગ માટે વારંવાર આવ્યો. ઘટના સમયે ખૂબ નજીકથી ઘણા દૃશ્યો જોયા હતા. પણ પહેલીવાર ઇમારતની અંદર દાખલ થયો. ક્રેશ સાઇટને ગ્રાફિક્સની મદદથી સમજો. આ કમ્પાઉન્ડમાં મેસ સૌથી છેલ્લે એરપોર્ટ તરફ આવેલી છે. એટલે મેઇન ગેટમાંથી પ્રવેશીને અમે એ તરફ ચાલવા લાગ્યા. કોઈ બાંધકામ માટે મહિનાઓ પહેલાં લાવવામાં આવેલી રેતીના ઢગલા હજુ પણ કમ્પાઉન્ડમાં એમના એમ જ છે. આ જ રેતીના ઢગલા પર કૂદી પડવાથી પ્લેન ક્રેશની ઘટનામાં વિશ્વાસ કુમાર જીવતો રહ્યો હોવાનું માનવામાં આવે છે. આવી તમામ વાતો વિચારતા અમે મેસ સુધી પહોંચી ગયા. મેસની બહાર હજુ પણ બેરિકેડ્સ પડ્યા છે. સહેજ હટાવીને અમે મેસના પગથિયા ચડ્યા. ત્યારે અમારી સાથે આવેલા ભાઈએ જમણી બાજુ ઉપર આંગળી ચીંધીને કહ્યું, “અહિયાં પ્લેનની પૂંછડી ફસાઈ ગઈ હતી.” મેં નજર ઊંચી કરીને જોયું તો એરપોર્ટ તરફની આખી દીવાલ તૂટી ગઈ હતી. પ્લેનનો બધો હિસ્સો તો હટાવી લેવામાં આવ્યો પણ બાંધકામનો કાટમાળ હજુ પણ ત્યાંનો ત્યાં જ પડ્યો હતો. બહાર નીકળેલા સળિયા, ઈંટોનો ઢગલો અને પહેલા માળેથી દેખાતો લીમડો કે જે પ્લેન પડવાથી બુંઠું થઈ ગયું છે એ આ ઘટનાના સાક્ષી હતા. આ જ સમયે પ્લેનનો અવાજ આવ્યો… તુટેલી દીવાલમાંથી બહાર નજર કરી તો એરપોર્ટથી થોડી જ સેકન્ડો પહેલા ટેકઓફ થયેલું પ્લેન દેખાયું, અમે ઊભા હતા એ જ બિલ્ડિંગ પરથી જોતજોતામાં પસાર થઈ ગયું. પ્લેનનો આ અવાજ હજુ પણ એ ભયાનક દિવસની યાદ અપાવી જાય એવો હતો. પ્લેન ક્રેશ થયા બાદ ઘણા વીડિયો સામે આવ્યા હતા. એમાં ભલભલાની આંખ પલાળી નાખે એવો વીડિયો ભોજનની થાળીનો હતો. બપોરનો સમય હતો, ત્યારે જ પ્લેન ક્રેશ થયું અને પ્લેનના કાટમાળ સહિત ઇમારતનો પણ કેટલોક ભાગ જમવા બેસેલા વિદ્યાર્થીઓ પર પડ્યો અને મોતનો કોળિયો બની ગયા. મારી નજર સામે એ જ મેસના ખાલી ટેબલ હતા. હજુ પણ ત્યાં પાણીની બોટલ, વાસણો, વિદ્યાર્થીઓના બૂટ-ચપ્પલ પડ્યા છે. જોઈને લાગે જ નહીં કે પીડાદાયક આ ઘટનાને છ-છ મહિનાના વહાણ વીતી ગયા છે. અમે થોડા આગળ વધ્યાં અને મેસના રસોડામાં પહોંચ્યા. મગજ સુન્ન કરી નાખે એવા દૃશ્યો અમારી નજર સામે હતા. ધૂમાડાથી કાળી પડી ગયેલી દીવાલો, ભયંકર ગરમીના કારણે પંખાની વળી ગયેલી પાંખો, વેરણ-છેરણ અનાજ… કિચનમાં કોઈ સામાન સલામત નહતો રહ્યો. મેસના તૂટેલા કાચમાંથી મેં બહારની તરફ નજર નાખી. સામેની બાજુ અતુલ્યમ-4 ઇમારત હતી. 5 માળની આ બિલ્ડિંગમાં રહેતા ડોક્ટરમાંથી નસીબજોગે જ કોઈ બચી શક્યું હશે. કારણ કે મેસની છત સાથે પૂંછડી ટકરાયા બાદ પ્લેનની ડાબી તરફથી પાંખ અતુલ્યમ-4માં ઘૂસી ગઈ હતી અને પછી સેકન્ડોમાં જ ભયંકર બ્લાસ્ટ થયો હતો. હવે અતુલ્યમ-4ની સ્થિતિ શું છે એ જાણવા માટે અમે મેસમાંથી નીચે ઉતર્યા અને બાજુની ઇમારત તરફ જવા લાગ્યા. નીચે ઉતરતા જ અમને ત્યાંના સિક્યોરિટી ગાર્ડ સંજયભાઈ મળ્યા. વાતવાતમાં બોલ્યા, “હું લગભગ બે વર્ષથી અહીંયાં નોકરી કરું છું. પ્લેન પડ્યું એ પહેલાંનો માહોલ બહુ જ સારો હતો. ઘણા વિદ્યાર્થીઓ અને ડોક્ટરો જમવા આવતા. એ લોકોનો સ્વભાવ એવો હતો કે અમુક લોકો મારા મિત્રો પણ બની ગયા હતા. આ ઘટનામાં એમાંથી ઘણાનો જીવ જતો રહ્યો. હવે આ ખંડેર બિલ્ડિંગ અને સન્નાટા વચ્ચે એ લોકોની ઘણી યાદ આવે છે. મને પણ ગમતું નથી અહીંયાં.” આટલું બોલતા સંજયભાઈ ગળગળા થઈ ગયા. મારી પાસે એમને સાંત્વના આપવા શબ્દો ખૂટી પડ્યા હોય એમ લાગ્યું. ઊંડો શ્વાસ લીધો અને પછી રેતીના ઢગલા પરથી ચાલતા-ચાલતા અમે અતુલ્યમ-4ની નીચે પહોંચ્યા. બિલ્ડિંગની બહાર પાર્કિંગ એરિયામાં સળગેલા ઘણા વાહનો પડ્યા હતા. જૂનમાં બનેલી ઘટના પછી ચોમાસાની સિઝન આવી અને પછી માવઠું પણ પડ્યું. સમયના આ માર સાથે વાહનોને કાટ ચડી ગયો છે. આગની તીવ્રતાનો અંદાજો એ દૃશ્ય પરથી લગાવી શકાય છે કે મોટરસાઇકલના બીડના મેકવ્હીલ ઓગળી ગયા હતા. ટાયર બળી ગયા બાદ એના તાર લટકતા હતા. ટુ વ્હિલર હોય કે ફોર વ્હિલર… એ કઈ કંપનીનું મોડલ હશે એ પણ ઓળખી શકાય એવી સ્થિતિ નથી એ હદે આગમાં સ્વાહા થયા હશે. અમારી સાથે આવેલા ભાઈએ કહ્યું, ઉપર તો હાલત આનાથી પણ વધારે ખરાબ છે. હવે અમે પગથિયા ચડ્યા અને પહેલાં માળે પહોંચ્યા. જ્યાં એક થાંભલા પર લખ્યું હતું… વેલકમ ટુ અવર નેસ્ટ વિધિની વક્રતા તો જુઓ… એક પક્ષીના માળાની માફક જે પોતાના ઘરને શાંતિનું ઠેકાણું સમજતા હતા, ત્યાં હવે ચકલુય ફરકે એવી હાલત નથી. જ્યાં નજર પહોંચે ત્યાં સન્નાટો ભાસે છે. અમે જરા હિંમત કરી અને એક ફ્લેટમાં પ્રવેશ્યા. પહેલી જ નજર ડાયનિંગ ટેબલ અને ખુરસીઓ પર પડી. બધુ જ જાણે કોલસો થઈ ગયું હતું. કિચનનો સામાન વેરવિખેર થઈને કદાચ બ્લાસ્ટના કારણે છેક હોલ સુધી આવી ગયો હોય એમ લાગ્યું. ત્યાંથી નજર હતી તો આંખો સામે સ્તબ્ધ કરી દેતું વધુ એક દૃશ્ય આવ્યું. દીવાલ પર ફિટ કરેલું AC તો બળીને ખાક થઈ ગયું પણ અંદરનું કોપરનું મટિરિયલ લટકતું હતું. મોટાભાગના દરવાજા ઊભા-ઊભા કોલસો થઈ ગયેલા નજરે પડ્યા. એક ઉપર એક ગોઠવેલી પ્લાસ્ટિકની ખુરસીઓ પીગળીને રેલો ગયો હતો. અમે બીજા એક ફ્લેટની અંદર ગયા. ઘરમાં સ્ટીલના વાસણો, મેડિકલ સાયન્સનું સાહિત્ય અને બીજી ઘણી વસ્તુઓ સળગેલી જોવા મળી. એક ઘરની બાલ્કનીમાં લક્ષ્મીજીની આકૃતિવાળો તુલસી ક્યારો જોયો. શુભ ગણાતી તુલસી આગમાં બળી ગઈ અને નિશાની રૂપે માત્ર એક સૂકું ઠુંઠું બાકી રહ્યું હતું. ચોથામાળે આવેલા એક ઘરમાં ગર્ભ સંસ્કાર નામનું પુસ્તક મળ્યું. પુસ્તક તો સલામત હતું પણ આ ઘરની હાલત ખંડેર જેવી થઈ ગઈ હતી. કારણ કે અતુલ્યમની ઇમારતોમાં ઉપલા માળે જ સૌથી વધુ નુકસાની થઈ હતી. પુસ્તક જોતા જ અગાઉ એક વ્યક્તિએ કહેલી વાત યાદ આવી ગઈ. તેમણે કહ્યું હતું, અહીંના એક ઘરમાં ગર્ભવતી મહિલાનું પણ મૃત્યુ થયું હતું. જ્યાં લોખંડના સળિયા પીગળી જાય, વળી જાય, એવી ગરમીમાં હાડમાંસના માણસની શું હાલત થઈ હશે? પ્લેનક્રેશ બાદ લાગેલી આગથી બે પ્રકારની સ્થિતિ પેદા થઈ હશે. જે વસ્તુ આગની ઝપેટમાં આવી એ તો સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ જ ગઈ. વળી, જ્યાં આગની જ્વાળા નહીં પહોંચી હોય ત્યાં તેની ગરમી એટલી તીવ્ર રીતે પહોંચી હશે કે ઘણી વસ્તુઓ પીગળી ગઈ. મને યાદ છે, પ્લેન ક્રેશની ઘટનાના તરત પછી અહીં પહોંચેલા ઘણા લોકોના મોબાઇલની બેટરી ગરમીના કારણે ડાઉન થઈ ગઈ હતી. મોબાઇલ પણ સરખી રીતે કામ નહોતા કરી રહ્યા. અમે અતુલ્યમ 4માંથી નીચે ઉતર્યા અને હવે અતુલ્યમ 3માં જવાનું નક્કી કર્યું. આ બધું જોતા મનમાં પ્રશ્નો તો ઘણા ઉઠ્યા જેમ કે અહીં રહેતા ડૉક્ટર્સ અત્યારે ક્યાં હશે? છેલ્લે ક્યારે આવ્યા હશે? એ ફરી પાછા આવશે કે કેમ? અતુલ્યમ 3માં પૂર્વ દિશા તરફથી ઇમારતોનો થોડું ઓછું નુકસાન થયું છે. કારણ કે આ તરફ ઘણા ફ્લેટમાં આગની જ્વાળાઓ પહોંચી નહતી. પરંતુ ભયંકર સ્થિતિ વચ્ચે અહીં રહેતા લોકો કોઈપણ વસ્તુ લીધા વગર દોટ મૂકીને ભાગ્યા હશે. એ સમયે થયેલી અફરાતફરીનો અંદાજો એ વાતથી લગાવી શકો છો કે ઘણા ઘરોમાં સામાન ઠેરનો ઠેર પડ્યો છે. કોઈ લેવા પણ નથી આવ્યું. વાસણો, ઘરવખરીનો બીજો સામાન, પુસ્તકો, પાસપોર્ટ સાઇઝ ફોટો એ વાતના સાક્ષી છે કે સ્થિતિ કેટલી દયનીય હશે. અમે અતુલ્યમ 3ના પશ્ચિમ દિશામાં આવેલા ફ્લેટમાં ગયા, ત્યાં વધુ ભયંકર સ્થિતિ નજરે ચડી. પહેલી જ નજર અર્ધબળેલી ઢીંગલી પર પડી. વિચારવા માટે મજબૂર કરી નાખે એવું દૃશ્ય. આ ઘરમાં સ્વીચબોર્ડ પીગળી ગયા હતા, કિચનમાં રાખેલા પ્લાસ્ટિકના ડબ્બાની હાલત પણ એવી જ હતી. ફ્રિજના દરવાજાનું પતરું ઓગળી ગયું હતું. એક જગ્યાએ દિવાલ પર ગૌતમ બુદ્ધનો સુવિચાર લખ્યો હતો. બાજુમાં એક કબાટમાં વિઘ્નહર્તા ગણપતિની મૂર્તિ પણ એમની એમ જોવા મળી. અમે આગળ વધ્યા. એક દીવાલ પર ડૉક્ટર્સના આઈકાર્ડ લટકતા હતા, ક્યાંક કપડા અને એપ્રોન પણ અમે લટકતા જોયા. ત્યાંથી ધાબા પર ગયા. જ્યાં પાણીની પાઈપો પણ સળગેલી હાલતમાં હતી. અતુલ્યમ 3 બાદ અમે અતુલ્યમ 2 અને 1મા પહોંચ્યા. આ જગ્યાએ નુકસાની ઓછી છે, પણ દુર્ઘટના બાદ આ બે ઇમારતોનો સન્નાટો આંખો પલાળી નાખે એવો છે. કારણ કે જ્યારે જીવ પર આવી પડે ત્યારે માણસ શું છોડે અને શું લઈને જાય. આંખો સામે દરરોજ દેખાતા સાથી મિત્રો, બીજાના જીવ બચાવવા માટે હોસ્પિટલમાં દોડાદોડ કરતા ડૉક્ટર્સે જ્યારે પોતાના સાથીઓને ગૂમાવ્યા પછી અહીં ઘણાએ પોતાનો સામાન લેવા આવવાનો જીવ નહીં ચાલ્યો હોય. બધું ઠેરનું ઠેર છે, જાણે કે દુનિયા થંભી ગઈ હોય. અહીં એક ફ્લેટમાં ડૉક્ટર કે મેડિકલના વિદ્યાર્થીએ મેળવેલા સર્ટિફિકેટ, એવોર્ડ ઠેરના ઠેર પડ્યા છે. કેટલી મહેનતથી મેળવ્યા હશે! હવે બધુ નકામુ બન્યું. એક દીવાલ પર મોરનું સુંદર ચિત્ર જોયું, પ્રિસ્ક્રિપ્શન પેપર પર લખવા ટેવાયેલા હાથે આવી કળા વિચારતા કરી દે એવી કહેવાય! ફ્લેટમાં રાખ વચ્ચે દવાઓની સ્ટ્રીપ્સ પડી હતી અને બાજુમાં જ રમકડાંનો એક રોબોટ હતો. બહાર કોરિડોરમાં આવીએ તો દૂર આગની આંચમાં જરાક બળી ગયેલું ટેડીબિયર દેખાયું. નજીક જઈને જોયું તો તેના પર હજુ પણ પ્રાઇઝ ટેગ હતું. જે બાળક માટે લાવવામાં આવ્યું હશે એ કેટલું રમ્યો હશે રામ જાણે! અમે જોયું કે કોરિડોરમાં એક જગ્યાએ તળિયામાં ડ્રિલિંગ કરવામાં આવ્યું હતું. જેના પરથી ખ્યાલ આવ્યો કે તમામ બિલ્ડિંગસની ફિઝીલીબિટી ચેક કરવાની કામગીરી થઈ છે. એવું પણ સંભળાય છે કે પ્લેનની ટક્કર થયા બાદ લાગેલી આગના કારણે હવે બિલ્ડિંગ રહેવાલાયક નથી રહી. સંભાવના એવી પણ છે કે મેસ અને અતુલ્યમની ચારેય ઇમારતો જમીનદોસ્ત કરવામાં આવી શકે છે. બની શકે કે સરકાર દ્વારા આવનારા દિવસોમાં નિર્ણય લેવાય. પણ અત્યારે તો ખંડર બનેલી આ ઇમારતો 21મી સદીના અતિપીડિદાયક અને ભયંકર દિવસોની સાક્ષી છે. કોંક્રિટનું એક એવું સ્ટ્રક્ચર જ્યાં ગણતરીની મિનિટોમાં 260 લોકોના જીવ જતા રહ્યા. અતુલ્યમ તેના નામ પ્રમાણે હવે ખરેખરમાં એવું સ્થળ બની ગયું છે, જ્યાં બનેલી ગોજારી ઘટનાની કોઈ સાથે તુલના ન થઈ શકે. દિવ્ય ભાસ્કર એ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ આપે છે.
‘ચારેય મજૂરોએ મળી યુવાનને રગદોળ્યો. મારી મારીને અધમૂઓ કરી નાખ્યો ને અંતે બાજુમાંથી દોરી શોધી અર્ધબેભાન પડેલા એ યુવકના હાથ અને પગને કચકચાવીને બાંધી સાઇડમાં ફેંક્યો. એ રાક્ષસો ત્યાં અટક્યા નહીં. એમની નિયત વધુ બગડી. બાજુમાં ડરી ડરીને બેઠેલી એની મંગેતરને પણ ઝપટે લીધી. ચારેય હેવાનોએ વારાફરતી એ પારેવા જેવી યુવતીને પીંખવાનું શરૂ કર્યું. માર ખાઇને પડેલો મંગેતર ફરી ફરીને બચાવવા મથ્યો, પણ ત્રણ-ત્રણ મજૂરો એને મારતા ગયા અને છોકરીનો વારાફરતી રેપ કરતા ગયા. આટલું કર્યા બાદ પણ એમને સંતોષ ન થયો. ચારેયે મળીને યુગલના શરીરે પહેરલાં ઘરેણાં સહિત બધા જ પૈસા લૂંટીને શાંતિથી નીકળી ગયા...’ ધોળેદહાડે માનવતાને શર્મસાર કરતી સત્ય ઘટના વર્ણવી રહ્યાં છે IPS વિધિ ચૌધરી. અમદાવાદ શહેરનાં એડિશનલ કમિશનર, જેઓ હાલ સ્પેશિયલ બ્રાન્ચ સંભાળી રહ્યા છે. આજે મહિલાઓ દરેક ફિલ્ડમાં ઘણી આગળ વધી ચૂકી છે, પણ જો ગુજરાતના IPS બેડાની વાત કરવામાં આવે તો પુરુષોની સામે મહિલાઓનો રેશિયો સાવ નજીવો છે. પરંતુ એ થોડી મહિલાઓ પણ ‘મ્હારી છોરિયાં છોરોં સે કમ હૈ કે?’ એ વાતને સુપેરે સાચી પાડે છે. પોતાની ફરજ બજાવવા ઉપરાંત તેઓ સમાજને સુધારવા માટેની એકપણ તક નથી છોડતા. એવાં જ એક જાંબાઝ મહિલા IPS અધિકારી એટલે વિધિ ચૌધરી. કોઈ ઓફિસર ગુનેગારોને પકડવામાં માહેર હોય છે, તો કોઈ ગુનેગારોને સુધારવામાં, પણ વિધિ ચૌધરી આ બધાની સાથે સમાજ સુધારવામાં અને માણસને ગુનેગાર બનતા રોકવામાં પણ એટલી જ મહારત ધરાવે છે. આજે ‘IPS ડાયરીઝ’માં સમાજસુધારક IPS વિધિ ચૌધરી વાત કરશે એ સમયની…જ્યારે ચાર પરપ્રાંતિઓએ મળી સુરતના બીચ પર યુવતીને પીંખી… 1985માં રાજસ્થાનના નાગોરમાં જન્મેલાં વિધિ ચૌધરી મૂળ સાયન્સનાં સ્ટુડન્ટ, પણ બાદમાં ઇતિહાસ પ્રત્યે ઝુકાવ વધ્યો. ઇતિહાસ વિષય સાથે M.A. થયાં અને પોલીસ મેનેજમેન્ટમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી. બાદમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી અને જોતજોતામાં UPSC ક્લિયર પણ થઈ ગઈ. 2009માં તેમણે ગુજરાત કેડરથી IPS સર્વિસ શરૂ કરી. ગુજરાતમાં સુરત, પોરબંદર, રાજકોટ, અમદાવાદ સહિત ઘણી જગ્યાએ સર્વિસ કરી ડિસેમ્બર 2024થી તેઓ અમદાવાદનાં એડિશનલ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યાં છે. *** ચૌધરી મેડમ સર, તમારા કરિયરનો મોસ્ટ ચેલેન્જિંગ અને થ્રિલિંગ કેસ કયો હતો? IPS વિધિ ચૌધરીએ વાતની શરૂઆત કરી... ‘2013ની વાત છે. ત્યારે હું સુરતમાં ACP તરીકે ફરજ બજાવી રહી હતી અને મારા કરિયરની શરૂઆત જ થઈ હતી. એ વખતે આ કેસ બન્યો હતો. દિવાળીનો સમય હતો. શહેરમાં ઉત્સવનો માહોલ હતો. લોકોને અગવડતા ન અનુભવાય એ માટે પોલીસ વ્યવસ્થામાં લાગી હતી. એ સમયે CP સાહેબનો સુરતના બધા જ IPS માટે નિયમ હતો કે, સવારે 9-10 વાગ્યા સુધીમાં બધાએ કૉલ પર સર સાથે એક મિટીંગ કરી લેવાની, જેમાં આગળના રેગ્યુલર વર્કનો રિપોર્ટ અને પોતાની ટીમને લગતા રોજના ક્રાઇમ વિશે ડિસ્કશન કરવાનું. ભાઇબીજના દિવસે વહેલી સવારે ઊઠીને મેં ન્યૂઝ પેપર ખોલ્યું ત્યાં મારા ધ્યાને રેપનો કેસ આવ્યો. સુરતના ડુમસ બીચ પર ફરવા ગયેલા એક કપલ પર ચાર પરપ્રાંતીયોએ ગંદી રીતે ગેંગ રેપ કર્યો હતો. 9 વાગ્યા ને CP સરનો કોલ આવ્યો. ગઈ કાલની વાત કરી. હું હજુ તો એ કેસ વિશે વાત કરું, એ પહેલાં સરે જ સામેથી મને એ કેસ વિશે વાત કરી અને કહ્યું કે આના પર કામ ચાલુ કરો. દરઅસલ ઘટના એવી બની હતી કે…’ 12 નવેમ્બર, 2013ડુમસ બીચ, સુરતસુરતના મુખ્ય પર્યટન સ્થળ પર ફેસ્ટિવલના કારણે આખો દિવસ લોકોનું કિડિયારું ઊભરાયું હતું. સૂર્યાસ્ત થવાનો ટાઈમ નજીક આવતાં પર્યટકોએ રિટર્ન જવાની શરૂઆત કરી દીધી હતી. બીચ સુંદર, પણ આખા બીચ પર એક પણ સ્ટ્રીટ લાઇટ નહોતી. એટલે રાત્રે બીચના એરિયામાં એકદમ કાળોડિબાંગ અંધકાર છવાઈ જાય. એમાંય દિવાળીના પછીનો દિવસ એટલે અમાસના કારણે ઘોર અંધારું થઈ જાય. ઉપરથી આવી જગ્યા એટલે કોલેજીયન્સ અને દારૂડિયાઓનો અડ્ડો ન બને એની સાવચેતીરૂપે પોલીસે પહેલેથી સાંજે 6 વાગ્યા પછી ત્યાં રહેવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એવામાં ત્યાં એક નવી નવી સગાઈ થયેલું પ્રેમીજોડકું આવ્યું હતું. સગાઈ પછીનો અને લગ્ન પહેલાંનો સમય એટલે પ્રેમનો ઊભરો, પણ રહેવાનું દૂર એટલે બને એટલો ટાઈમ સાથે ગાળવાનો અભરખો હોય તે સમજી શકાય તેવું છે. ડુમ્મસ બીચ પર બંને ફરવા આવ્યાં. આખો દિવસ સાથે ગાળ્યો હતો, પણ નવો નવો પ્રેમ એટલે સાથે વધારે ટાઇમ એકલતામાં પસાર કરવાની લ્હાયમાં રાત્રે અંધારું થઈ ગયા બાદ પણ બંને ત્યાં ને ત્યાં અંધારામાં બેસી રહ્યાં. એવામાં ત્યાંથી પાવરલૂમ સેક્ટરમાં કામ કરતાં ચાર પરપ્રાંતીય મજૂરો નીકળ્યા. અંધારામાં ચાલી ને જતા હતા ત્યાં એકલામાં બેઠેલા આ કપલ પર એમની નજર પડી. મોડી રાત, ખાલી શહેર ને અંધારપટ એટલે ચારેયની નિયત બગડી. આ કપલની નજીક જઈને ચારેયે ગંદી ગંદી કોમેન્ટ્સ શરૂ કરી. એમાં છોકરાનો ઇગો હર્ટ થયો. પોતાની મંગેતરને બચાવવા એ સામે પડ્યો, પણ સામે તો ચારેય મજબૂત મજૂરો. લેપટોપ અને મોબાઈલ પર આંગળીઓ ફેરવતો જુવાન પાવરલૂમનાં મશીનો હેન્ડલ કરતા હાથો સાથે કેમ બાથ ભીડી શકે? ચારેય મજૂરોએ મળી યુવાનને ખરાબ રીતે માર્યો. મારી મારીને અધમૂઓ કરી મૂક્યો ને અંતે બાજુમાંથી દોરી શોધી અર્ધબેભાન પડેલા યુવકના હાથ અને પગને કચકચાવીને બાંધીને એને સાઇડમાં ફેંક્યો. એ ચીંથરેહાલ કપલે ઝૂંપડપટ્ટીમાંથી કપડાં માગ્યાં અને ઘરે ફોન જોડ્યો એ રાક્ષસો ત્યાં અટક્યાં નહીં. એમની નિયત વધુ બગડી. બાજુમાં ડરી ડરીને બેઠેલી મંગેતરને ઝપટે લીધી. ચારેય હેવાનોએ વારાફરતી એ પારેવા જેવી યુવતીને પીંખવાનું શરૂ કર્યું. માર ખાઇને પડેલો મંગેતર ફરી ફરીને એને બચાવવા મથ્યો, પણ ત્રણ-ત્રણ મજૂરો એને મારતા ગયા અને છોકરીનો વારાફરતી રેપ કરતા ગયા. આટલું કર્યા બાદ પણ આ હેવાનોને સંતોષ ન થયો. ચારેયે મળી યુગલનાં શરીરે પહેરેલાં ઘરેણાં સહિત બધાં જ પૈસા લૂંટીને શાંતિથી ત્યાંથી નીકળી ગયા. માહોલ એકદમ શાંત હતો. પ્રતિબંધિત વિસ્તાર હતો એટલે CCTV તો દૂર, કોઈ ચકલુંય ફરકવાવાળું નહીં. એટલે કોઇને આ ભયાનક ઘટનાની ભનક પણ ન આવી અને ચારેય રાક્ષસો ભાગી ગયા. અંદાજે બેએક કલાક સુધી યુવક-યુવતી એમની સાથે થયેલી દુર્ઘટનાથી સ્તબ્ધ થઈ ગયાં હતાં અને શું કરવું? શું બોલવું એ કોઈ વાતનો વિચાર પણ ન કરી શક્યાં. એમનાં તન-મન પર શું વીતી હશે, એ વિચારીને આજે પણ આપણે થથરી ઊઠીએ. અંતે યુવતીએ ઊઠી એના મંગેતરના હાથ-પગ છોડ્યા અને બંને ઘણું રડ્યાં. ઘરે શું કહેવું? કેવી રીતે વાત કરવી? ઘણા પ્રશ્નો હતા, પણ ઘરે વાત કર્યા વિના છૂટકો નહોતો. પરંતુ બંનેનાં કપડાં એ હદે ફાટી ગયાં હતાં કે પહેર્યાં ન પહેર્યાં જેવી હાલત થઈ ગઈ હતી. એ કપડાં પહેરે ઘરે તો દૂર ત્યાં બીચ પરથી બહાર પણ જઈ શકાય એવી હાલત રહી નહોતી. માંડ માંડ ઊભાં થઈ બંને ત્યાં નજીકમાં ઝુંપડપટ્ટી પાસે પહોંચ્યાં. એકાદ ઘરમાં જઈ એમની પાસેથી થોડાં કપડાં લીધા અને પાણી પીધું. એમની પાસેથી જ ઘરે ફોન કરી પરિવારને ત્યાં બોલાવ્યો. થોડી વારમાં પરિવાર આવી જતાં, દવાખાને ભાગ્યાં. ડૉક્ટરે ઈલાજ કરી આપ્યો પણ પોલીસને વાત કરવાનું કહ્યું, તો પરિવારે ના પાડી કે અમારે દીકરીનું નામ ખરાબ થાય એવું નથી કરવું. અંતે ત્યાંથી પણ કોઈ ફરિયાદ ન થઈ. *** ગેંગરેપ, લૂંટ અને માર મારવા છતાં પરિવારે પોલીસ ફરિયાદ ન નોંધાવી આટલી મોટી ઘટના ઘટી, પણ આ બંને યુવક-યુવતીએ કે એમના પરિવારે કોઈ પોલીસ ફરિયાદ જ ન નોંધાવી. સમાજનો ડર! લોકો શું કહેશે અને બધાં મારી દીકરી સામે કેવી નજરે જોશે? એવું વિચારી પરિવાર પોલીસ પાસે જ ન આવ્યો. પરંતુ એ પીડિતનો પાડોશી એક પત્રકાર હતો. પત્રકારને માહિતી મળી એટલે એણે કોઈનાં નામ લીધા વિના આખી ઘટના બીજા દિવસના ન્યૂઝપેપરમાં છાપી દીધી. અમારી પાસે ઘટનાની માહિતી પહોંચી. ગંભીર ઘટના હતી એટલે ગુનેગારો સુધી પહોંચવું જરૂરી હતું. અમે એ ન્યૂઝપેપર સાથે વાત કરી અને કોઈપણ રીતે મનાવી એ પરિવારનો સંપર્ક સાધ્યો. જો પોલીસની રીતે પરિવાર પાસે જઈએ તો એ લોકો એક શબ્દ ન બોલે. એટલે સાદા પરિવેશમાં હું અને સાથે બીજી બે-ત્રણ મહિલા ઓફિસરોને લઈ એમના ઘરે સાંત્વના આપવા ગયાં. ઘરે જઈ પરિવાર સાથે વાત કરી, ધીમે ધીમે એકાદ કલાક બેઠાં તો પરિવારે વાત વાતમાં બધી માહિતી આપી દીધી. ખાતરી થઈ અને ગુનાની જાણકારી મળી એટલે મેં અમારી ઓળખ એમને આપી દીધી અને ફરિયાદ નોંધાવવા મનાવ્યાં. પણ પરિવાર કોઈ કાળે ફરિયાદ કરવા માનવા તૈયાર જ ન થાય. ફરિયાદ ન થાય તો શું થયું આ ગુનેગારોને પકડવા જરૂરી હતા. મારા IPS કરિયરનો સ્વતંત્ર રીતે આ પહેલો કેસ હતો. અંતે મેં CP સર સાથે વાત કરી, સરે મને જ ઇન્વેસ્ટિગેટિવ ઑફિસર બનાવી અને અમે આ કેસમાં સૂઓમોટો દાખલ કરી. સુરતની અને દક્ષિણ ગુજરાતના ઇતિહાસની પહેલી સૂઓમોટો! અને ઇન્વેસ્ટિગેશન શરૂ થયું! પરંતુ આરોપીઓને શોધવા કઈ રીતે? કોઈ CCTV નહીં. કોઈ આઈ વિટનેસ નહીં. રાત્રે ઘોર અંધારામાં ગુનો થયો હતો એટલે વિક્ટિમને પણ કોઈ આરોપીનો સરખો ચહેરો યાદ નહોતો. હું ટીમને લઈ લોકેશન પર પહોંચી અને બધું તપાસવાનું શરૂ કર્યું, બીચથી લઈ બહાર સુધી ત્યાં રહેતા હોય કે ત્યાં કામ કરતાં હોય એ દરેકની પૂછપરછ કરવાની શરૂઆત કરી. સાંજ સુધી બધું ફંફોળ્યું અને પૂછપરછ કરી તો એક કડી મળી. એક રિક્ષાવાળો મળ્યો, જેણે કહ્યું કે, કાલે રાત્રે મેં અહીં ડુમસ બીચ પર ચાર મજૂરને છોડ્યા હતા. મને પણ શંકા ગઈ કે ડુમસ બીચ તો અત્યારે બંધ હોય છે, તો ત્યાં અત્યારે કેમ? પણ હું એવું તો એમને પૂછી ન શકું, એટલે વાત આગળ ન વધી. રિક્ષાવાળાએ કહ્યું કે એ ચાર લોકોને મેં તમે કહેલા ટાઈમના થોડી વાર પહેલાં જ ડુમસ બીચ પર ઉતાર્યા હતા. રાતનો ટાઈમ અને ઉપરથી આ રિક્ષાવાળાની તો પાછળ બેઠા હતા, એટલે એણે પણ કોઇનો ચહેરો તો જોયો નહોતો. એટલે વાત ત્યાં પણ અટકી ગઈ. પણ એની પાસેથી આગળનું લોકેશન મળી ગયું કે, એ લોકો ક્યાંથી આવ્યા હતા. મેં એની જુબાની લેવડાવી. ચારેય આરોપી બિહારી હતા અને લિંબાયતથી અહીં ડુમસ આવ્યા હતા. અમે લિંબાયતથી પૂછપરછ શરૂ કરી. ત્યાં પણ એક ક્લૂ મળ્યો કે એ અહીં બાજુના એક ગલ્લા પર પાણી પીવા ઊભા રહ્યા હતા. અમારી ટીમ ત્યાં પહોંચી અને પૂછપરછ કરી તો એ લોકો ત્યાં પોતાની કંપનીની વાત કરતા હતા. એટલે ખબર પડી કે ચારેયનું કામ પાવરલૂમ ઇન્ડસ્ટ્રીમાં જ હતું. ચારેય બિહારી ત્યાં જ મજૂરી કરતા હતા. બીજી બાજુ, હવે કદાચ એ આરોપી પકડાય તો પણ એમનો આરોપ સાબિત કઈ રીતે કરવો? એ માટે ફોરેન્સિક ટીમને એ પીડિતાને ઘરે મોકલી એ યુવતીને મનાવી એનાં કપડાં પરથી થોડાં ફિંગરપ્રિન્ટ અથવા શરીર પર લાગેલું લોહી અને બીજા હેલ્થકેરના લગતાં ફોરેન્સિક સેમ્પલ લેવામાં આવ્યાં. જેથી આરોપી પકડાય તો વેરિફાય કરી ગુનો સાબિત થઈ શકે. શરૂઆતમાં યુવતી માનવા તૈયાર નહોતી, પણ પછી એને જાણ થઈ કે એને ન્યાય અપાવવા માટે કેસ ઓલરેડી રજિસ્ટર્ડ થઈ ગયો છે, એટલે એને પણ થોડો કોન્ફિડન્સ આવ્યો. આ બધામાં યુવતી, યુવક, રિક્ષાવાળા અને પાણીની બોટલ લીધી એ ગલ્લાવાળો, એ બધા પાસેથી વાત કઢાવી તો ચારેયના શરીરના બાંધા, રંગ, એમની બોલી ને ચહેરાની થોડી થોડી વિગતો તો મળી ચૂકી હતી, પણ એમના સુધી પહોંચવા એ પૂરતી નહોતી. પોલીસની તપાસ ચાલતી હતી. આ બધા વચ્ચે ઉપરવાળાની દયાથી જે રિક્ષાવાળો એ ચારેયને લઈ ડુમસ સુધી આવ્યો હતો, એ રિક્ષાવાળાને એ જ એરિયામાં ચાર દરિંદામાંનો એક દેખાયો. રિક્ષાવાળો ઓળખી ગયો એમને. તરત જ એણે અમને ફોન કર્યો અને માહિતી આપી. અમારા PI સીધા જ દોડીને મારી પાસે આવ્યા કે મેડમ આ એ લોકો જ લાગે છે. અમે ટીમ લઈ ઝડપથી લોકેશન પર પહોંચ્યા અને સાથે એ પીડિત યુવકને પણ રાખ્યો. ‘મેડમ, આ જ છે એ દરિંદો, પકડી લો એને...’ ત્યાં જઇને જોયું તો યુવક તરત જ એ રાક્ષસને ઓળખી ગયો અને બૂમ પડી બેઠો કે, મેડમ આ જ છે એ. અમારા ઓફિસર્સ ગાડીમાંથી ઊતર્યા અને આરોપીને ઝડપી લીધો. અંદર બેસાડી પૂછપરછ શરૂ કરી પણ ભાઈ એક શબ્દ બોલવા તૈયાર નહોતો. બાદમાં આ છોકરો જેવો સામે આવ્યો એટલે ઢીલો પડ્યો અને બધું કબૂલ્યું. બસ પછી તો વાત પૂરી, એણે જ પોતાની સાથેના ચારેય જણા વિશે માહિતી આપી દીધી. પણ હાલમાં એ બધા બહાર હતા એટલે 1-2 દિવસમાં એના સુધી પહોંચી પોલીસે એમને પણ ઝડપી લીધા. યુવતી અને યુવકે પણ એમની ઓળખ કરી લીધી અને મેડિકલ એવિડન્સ પણ મળી ગયા. આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા અને ઘટનાનાં દોઢ વર્ષ બાદ ચારેયને આજીવન કેદની સજા પણ ફટકારવામાં આવી. આરોપીને સજા થઈ ગઈ, ચારેય જેલમાં ગયા. એકાદ વર્ષમાં સુરતથી મારી બદલી પણ થઈ ગઈ. પણ 2015 બાજુ મને સમાચાર મળ્યા કે, આ કેસનો મુખ્ય આરોપી એક અઠવાડિયાના જામીન લઈને ગયો હતો, પણ ત્યાંથી પછી ભાગી ગયો છે. પરત જેલમાં આવ્યો જ નથી. હવે એ ટાઈમે હું સુરતમાં નહોતી, એટલે સુરતના કેસમાં હું કોઈ દખલઅંદાજી ન કરી શકું. પણ આ વાત મને ઘણી ખૂંચી. મેં આ વાત મારા મનમાં રાખી અને સુરત મારું પોસ્ટિંગ થવાની રાહ જોઈ. જોતજોતાંમાં બે-ત્રણ વર્ષમાં જ 2018માં મારું પોસ્ટિંગ ફરી સુરતમાં થયું, આ વખતે DCP તરીકે. બસ, મારા એક ટાર્ગેટમાં એ કેસ યાદ જ હતો. મેં ફરી મારી રીતે તપાસ ચાલુ કરાવી અને થોડા જ દિવસોમાં એને શોધી લીધો. એ ભાઈ તો ત્યારે એનો આખો વેશ બદલીને IIT, ખડગપુરમાં પટ્ટાવાળાની જોબમાં લાગી ગયો હતો. અમે એને ફરી પકડ્યો અને વધુ સજા સાથે જેલમાં નાખ્યો. *** આટલું જ નહીં, મહિલાઓનો કેસ આવે ત્યારે કોઈ સામાજિક અત્યાચાર થાય ત્યારે વિધિ ચૌધરી સૌથી આગળ હોય છે. 2018માં જ્યારે તેઓ સુરતમાં DCP તરીકે ફરજ બજાવતાં હતાં ત્યારે ફરી એક એવો જ કિસ્સો બન્યો...જ્યારે સાડા ત્રણ વર્ષની ફૂલ જેવી માસૂમ દીકરીનો કોઇએ રેપ કરી લાશ પોટલામાં બાંધી મૂકી દીધી…વિધિ મેડમે એ થથરાવી મૂકે તેવા કેસની વાત શરૂ કરી *** સાંજના 7:30 વાગ્યાનો સમય 15 ઓકટોબર, 2018ગોડાદરા, સુરતબે-ત્રણ મહિના પહેલાં જ મહારાષ્ટ્રથી સુરતમાં રહેવા આવેલો મરાઠી પરિવાર ખુશીથી જીવન વિતાવતો હતો. ચાર-પાંચ વર્ષ પહેલાં લગ્ન થયેલાં પતિ-પત્ની ને સાથે બે દીકરી અને એક દીકરો સુરતની સોમેશ્વર પાર્ક સોસાયટીમાં સુખેથી જીવી રહ્યાં હતાં. એમાં એક દિવસની વાત. રોજની જેમ આજે પણ ઘરના મોભી નારાયણભાઈ ઘરે આવ્યા એટલે ત્રણેય બાળકો એમને વળગી પડ્યાં ને રમતો ચાલુ થઈ. એવામાં પત્નીએ યાદ કરાવ્યું કે, ‘મી કાય મ્હણતે? વો લોન કે પૈસે ભરને કી ડેટ આ રહી હૈ, જરા વક્ત હો તો દે કર આઓ ના.’ નારાયણભાઈને થયું કે, ફ્રી છું તો ચલો આપતો જ આવું. મોટી 6 વર્ષની દીકરી પપ્પા માટે પાણી લેવા ગઈ, ત્યાં પિતાએ સાડા ત્રણ વર્ષની દીકરીને ખોળામાંથી નીચે ઉતારી અને ઘોડિયામાં સૂતેલા ચાર માસના દીકરાના કપાળે ચુંબન કરી નીકળવાની તૈયારી કરી. ત્યાં મોટી દીકરી પાણી લઈને આવી. પાણી પીધું અને નીકળવાની તૈયારી કરી એટલી વારમાં વચલી ફરી ગળે વળગી પડી કે મારે પણ સાથે આવવું છે. હવે આટલી રાત્રે વરસાદી વાતાવરણમાં ડીંડોલી સુધી એ દીકરીને કેમ લઈ જવી એટલે નારાયણભાઈએ 5 રૂપિયા આપી દીકરીને મનાવી અને ઘરેથી એકલા નીકળ્યા. અડધો કલાક થયો, પણ દીકરી ઘરે પાછી જ નહોતી આવી એક કલાક પછી, 8:30 PM વાગ્યે નારાયણભાઈ ઘરે પાછા આવી ગયા. પત્ની રસોઈ તૈયાર કરતી હતી. મોટી દીકરી વાંચવા બેઠી હતી અને નાનો દીકરો ઘોડિયામાં સૂતો હતો, પણ વચલી દીકરી ન દેખાઈ. પત્ની દિપીકાબેનને પૂછ્યું,‘દીકરી ક્યાં ગઈ?’‘તમે પાંચ રૂપિયા આપીને ગયા હતા તો થોડી વાર પહેલાં કંઈક નાસ્તો લેવા ગઈ છે.’ દીકરીની મા બોલી.‘કેટલા વાગ્યે ગઈ હતી?’‘આઠેક વાગ્યે ગઈ હતી’નારાયણભાઈએ ઘડિયાળમાં જોયું, ‘હેં? 8 વાગ્યે? સાડા આઠ થયા. અડધા કલાકથી હજુ પાછી નથી આવી? દુકાન તો સામે જ છે. હું જોતો આવું.’બહાર જઈ જોયું તો ત્યાં કોઈ નહીં. આજુબાજુ તપાસ કરી તો ત્યાં પણ કોઈ નહીં. શેરીમાં પૂછ્યું, તો ત્યાં પણ કોઈએ દીકરીને જોઈ નહોતી. નારાયણભાઈ હવે હાંફળા ફાંફળા થયા. પત્નીને પણ ઘરેથી બોલાવી, દીકરીને શોધવાનું ચાલુ કર્યું. આજુબાજુનો આખો વિસ્તાર ફંફોળી માર્યો. પણ દીકરી ક્યાંય મળે નહીં. એકાદ કલાક સુધી શોધખોળ કરી પણ દીકરી મળી નહિ, એટલે વધુ ચિંતા થઈ. પરિવારનો છેલ્લો આશરો હતો પોલીસ. નારાયણભાઈ પોલીસ સ્ટેશને ભાગ્યા અને ફરિયાદ નોંધાવી. પોલીસ સ્ટેશને હાજર માણસો થોડી જ વારમાં એમના ઘરે પહોંચ્યા અને તપાસ કરાવી. થોડી વાર સર્ચ ઓપરેશન કર્યું પણ બાળકી ક્યાંય મળી નહીં એટલે અપહરણની શંકા ગઈ. મોડી રાત્રે મને ફોન આવ્યો કે, મેડમ આવી ઘટના બની છે. જેવી જાણ થઈ એટલે હું રાત્રે જ ત્યાં લોકેશન પર જવા નીકળી. રસ્તામાં મારા બેસ્ટ ઓફિસર્સને પણ જાણ કરી બોલાવી લીધા, અને ઘટનાસ્થળે હાજર જવાનો પાસેથી ડિટેલ્સમાં માહિતી મેળવી લીધી. અભેરાઈ પર પ્લાસ્ટિકનો કોથળો હતો, જેના પર લોહીના તાજા ડાઘ હતા લોકેશન પર જઈ ત્યાંના તપાસના બધા રિપોર્ટ લીધા અને ચેક કર્યું, પણ છોકરી ભાગી હોય એવું કશું જ મળ્યું નહિ. એટલામાં મારા ધ્યાને આવ્યું કે ત્યાં નારાયણભાઈ જ્યાં પહેલા માળે રહેતા હતા એ ઘરના નીચેના રૂમમાં નીચેના એક દરવાજે તાળું મારેલું છે. નારાયણભાઈને પૂછ્યું તો ખબર પડી કે, અહીં મકાનમાલિકનો ભાણેજ સન્ની રહે છે, પણ એ તો 15 દિવસથી અહીં હાજર નથી એટલે એનો મિત્ર થોડા દિવસથી રહે છે. આજે સવારથી ઘરે જ હતો, પણ અત્યારે બહાર ગયો લાગે છે. ફોન કરી પૂછપરછ કરાવી, પણ કોઈ જવાબ ન મળ્યો. મને વધુ શંકા ગઈ, એટલે મેં તાળું તોડાવ્યું અને અંદર તપાસ કરાવી. નાનકડું ઘર હતું, એટલે તપાસતાં વાર ન લાગી. આખું ઘર ફંફોળી પોલીસ જવાનો મારી પાસે આવ્યા કે, ‘કશું નથી મળ્યું.’ મેં PI સી. આર. જાદવને મોકલ્યા કે, જાઓ તો તમે એકવાર નજર નાખતા આવો. PI જેવા અંદર ગયા, બે જ મિનિટમાં બૂમ પડી,‘મેડમ, જલદી અંદર આવો!’ જે રીતનો અવાજ હતો, કશુંક અજુગતું થવાની આશ હતી, હું ભાગીને અંદર ગઈ. PIની નજર રૂમના માળિયા (અભરાઈ) પર હતી. માળિયામાં એક પ્લાસ્ટિકનો પીળા કલરનો નાનકડો કોથળો પડ્યો હતો, જેમાં લોહીના ડાઘ દેખાતા હતા, એ પણ તાજા અને ભીના! અમારી સૌથી ભયાનક શંકા સાચી પડી. એ કોથળામાં દીકરીની લાશ હતી. મેં તરત જ ફોરેન્સિક ટીમને બોલાવી અને ત્યાંથી બધું ઇન્વેસ્ટિગેશન અને પુરાવા એકત્ર કરાવડાવ્યા. દીકરી તો મળી ગઈ, પણ કઈ હાલતમાં? લાશ! કિડનેપિંગની શંકા હતી એ મર્ડરમાં ફેરવાઈ. હજુ વાત એટલેથી અટકે એમ નહોતી. ફોરેન્સિક રિપોર્ટ વધુ હેરાન કરવાનો હતો. બીજા દિવસે જ ફોરેન્સિક રિપોર્ટ આવી ગયો. રિપોર્ટ જોઈને મારા પગ નીચેથી જ જમીન સરકી ગઈ. કેમ કે ફક્ત સાડા ત્રણ વર્ષની બાળકી પર ગંદી રીતે બળાત્કાર કરી મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. રિપોર્ટ વાંચતાંવેંત જ મારી આંખો ભીની થઈ ગઈ. નક્કી કર્યું કે કોઈ પણ કાળે આ હેવાન આરોપીને જલદીથી જલદી પકડીશું. ત્યાં સુધીમાં એ આરોપીનો રિપોર્ટ પણ આવી ગયો. નામ હતું અનીલ યાદવ. મૂળ બિહારનો. રાત સુધી ઘરે હાજર જ હતો, પણ દીકરી ખોવાઈ એ પછીથી ત્યાં તાળું મરેલું હતું. જેવી લાશ મળી એટલે ત્યાં સોસાયટીમાં રહેતા લોકોએ નિવેદન પણ આપ્યાં, જેના પરથી અનિલ પર શંકા દૃઢ થઈ. *** દીકરીને ફોસલાવીને એ હેવાન ઘરની અંદર લઈ ગયો અને... ઘટના એવી ઘટી હતી કે, ‘દીકરીને પૈસા મળતાં એ નાસ્તો લેવા નીચે જતી હતી, પણ હજુ આગળ વધે એ પહેલાં ત્યાં દરવાજા પાસે ઊભેલા 20 વર્ષીય રાક્ષસ અનિલે એની સાથે વાત ચાલુ કરી. થોડી વાર સુધી ફોસલાવી વાતો કરતો રહ્યો. છોકરી એને ઓળખતી જ હતી, કેમ કે નીચેના ઘરમાં જ રહેતો હતો. વાતવાતમાં દીકરીને ઘરની અંદર બોલાવી અને મોઢું રૂંધી ગંદી રીતે દીકરીનો રેપ કર્યો. એટલેથી ન અટકી અનિલે એની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું. બાદમાં લાગ્યું કે, જો આ જીવતી રહેશે તો બહાર જઈ બધાને મારું નામ આપી દેશે. એટલે ગળું દબાવી માસૂમ દીકરીને મારી નાખી. લાશ પ્લાસ્ટિકની કોથળીમાં ભરી ચોકડીની ઉપરના માળિયામાં ચડાવી અને ઘરે તાળું મારી પોતે ભાગી ગયો. *** એ નરાધમ ઘરમાં અંડરવેર પહેરીને પડ્યો હતો નારાયણભાઈની બાજુમાં જ રહેતા શ્યામનારાયણ પાંડે અમારી પાસે આવ્યા. એમણે માહિતી આપી કે, ‘નારાયણભાઈ હપ્તો ભરી ઘરે આવ્યા પછી એમની દીકરી નહોતી મળતી, એટલે અમે પણ સાથે શોધવા મંડી પડ્યા હતા. એમાં શોધતો શોધતો હું અનિલના ઘરે પણ ગયો હતો, પણ અનિલ ચડ્ડી પહેરીને સૂતો હતો. હું ખીજાયો પણ ખરો કે, અહીં નારાયણની દીકરી ખોવાઈ ગઈ છે અને તું સૂતો છે? તો એ નફ્ફટે મોઢે કહી દીધું કે, ‘મેરેકો નીંદ આ રહી હૈ, મુજે સોને દો.’ એમ કહી દરવાજો બંધ કરી દીધો. એટલે પછી હું ત્યાંથી નીકળી ગયો.’ સોસાયટીમાં જ રહેતી 19 વર્ષની બીજી એક યુવતીએ પણ પોલીસને વાત કરી, ‘શોધખોળ ચાલુ કરી ત્યારે મેં પણ અનિલનો દરવાજો ખખડાવ્યો હતો. અનિલે અડધો જ દરવાજો ખોલી તોછડાઈથી કહ્યું કે, ‘ક્યા હૈ? મેરેકો નીંદ આ રહી હૈ.’ હું હજુ વધુ પૂછવાની હતી પણ એ નફ્ફટ અનિલ ખાલી અંડરવેર પહેરીને આંટો મારતો હતો. એટલે વધુ કોઈ વાત કરવાને બદલે હું નીકળી ગઈ હતી. દક્ષિણ ગુજરાતના ઇતિહાસની પહેલી ફાંસી અનિલ આરોપી હતો એ નક્કી થઈ ચૂક્યું હતું, અમે તપાસ વધુ મજબૂત રીતે શરૂ કરી. એક ટીમને મેં અનિલનો ડેટા કઢાવવા માટે લગાવી અને બીજી ટીમને ટેક્નિકલ મદદ માટે. થોડા જ કલાકોમાં બંને બાજુથી જે રિપોર્ટ આવ્યા એ પરથી કેસ આસાનીથી સોલ્વ થઈ ગયો. અનિલના સબંધીઓ, એની નોકરીની જગ્યા, બધે જ તાપસ કરી. ખબર પડી કે, અનિલ મૂળ બિહારના બક્સરનો છે અને અહીં કારખાનામાં જોબ કરે છે. કારખાનામાં તપાસ કરી તો અનિલનું કેરેક્ટર સર્ટિફિકેટ મળ્યું. બીજી બાજુ અનિલના ફોટોગ્રાફ્સ તો મળી જ ગયા હતા. એના પરથી સોસાયટીથી આજુબાજુના વિસ્તારના CCTV તપાસવાનું શરૂ કર્યું. CCTV ફૂટેજની ચકાસણી પરથી ખબર પડી કે અનિલ રેલવે સ્ટેશન બાજુ જ ગયો છે. સામે ટેક્નિકલ ટીમને અનિલનો મોબાઈલ નંબર આપ્યો હતો, ત્યાંથી પણ રિપોર્ટ આવ્યો કે, છેલ્લો ફોન એણે બક્સર કર્યો છે અને છેલ્લું લોકેશન રાજસ્થાનના એક ગામડા પાસેની એક નદીનું બતાવે છે. બધી કડી એકબીજા સાથે જોડાતી હતી. ક્લિયર હતું કે, અનિલ મૂળ બક્સરનો છે, છેલ્લો ફોન પણ ત્યાં કર્યો હતો, અને જ્યાં સિમકાર્ડનું છેલ્લું લોકેશન બતાવે છે, એ રસ્તો સુરતથી બક્સરના રેલવે ટ્રેકનો છે. મતલબ કે, અનિલ ગુનો કરી ત્યાં જવા નીકળી ગયો છે. મેં ક્રાઇમ બ્રાન્ચના બેસ્ટ ઓફિસરોની ટીમ બનાવી અને એમને તાત્કાલિક ધોરણે પ્લેનમાં બિહાર મોકલ્યા. ત્યાંની લોકલ પોલીસ સાથે વાત કરી એમનો સપોર્ટ લીધો અને બક્સર પહોંચી ગયા. અનિલ ઘરે જ હતો, ત્યાંથી જ ધરપકડ કરી અને અનિલને લઈ સુરત આવ્યા. હું ખુદ મહેનતે લાગી, ટીમ અને PP સાથે મળી થોડા દિવસોમાં જ મોટી અને ઇનડિટેઈલ ચાર્જશીટ બનાવી કોર્ટમાં રજૂ કરી. જોતજોતાંમાં એક-બે મહિનામાં જ કેસનો ચુકાદો આવી ગયો અને અમારી મહેનત લેખે લાગી, અનિલ યાદવને ફાંસીની સજા થઈ. સુરત અને દક્ષિણ ગુજરાતના ઇતિહાસની પહેલી ફાંસી!
અંજારમાં અને ભુજમાં પી.જી.વી.સી.એલ.એ શિયાળની ઋતુનો લાભ લઈને મરંમતની તક જડપી લીધી છે. પરંતુ, એથી નર્મદાના પાણીના પમ્પિંગના અભાવે પાણી વિતરણ વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે, જેથી નગરપાલિકાને ઘરોઘર નળ વાટે પાણી પહોંચાડવામાં ભારે તકલીફ પડી રહી છે. ભુજમાં શહેરીજનોને પીવાનું પાણી સ્થાનિક સ્રોતમાંથી પૂરું પાડી નથી શકાતું. શિયાળામાં દૈનિક 35 એમ.એલ.ડી. એટલે કે 350 લાખ લિટર પાણીની જરૂરિયાત જી.ડબ્લ્યુ.આઈ.એલ. દ્વારા નર્મદાના નીર આપીને પૂરી કરાય છે. ક્યારેક નગરપાલિકાની પાઈપ લાઈન તો ક્યારેક જી.ડબ્લ્યુ.આઈ.એલ.ની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાય છે, જેથી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જતી હોય છે. અધૂરામાં પૂરું વીજ પ્રવાહ બંધ થાય ત્યારે પમ્પિંગના અભાવે પાણી આગળ ધકેલી નથી શકાતું. છેલ્લા 15 દિવસમાં 525 એમ.એલ.ડી.ની જરૂરિયાત સામે માત્ર 356 એમ.એલ.ડી. પાણી મળ્યું છે! આમ, 169 એમ.એલ.ડી.ની ઘટ એટલે કે 1690 લાખ લિટરની ઘટ સર્જાઈ છે. શિયાળામાં પંખા, એ/સી બંધ રહેતા હોય એનો લાભ લઈને પી.જી.વી.સી.એલ. દ્વારા શનિવારે મરંમતનું કામ કરાયું હતું, જેથી વીજ પ્રવાહ બંધ રહ્યો હતો. જેના કારણે સવારે 10 વાગ્યાથી રાત્રે 1.30 વાગ્યા સુધી નર્મદાના નીર અંજારથી કુકમા સમ્પે પહોંચી નહોતા શક્યા. એવી જ રીતે ગઈકાલ ગુરુવારે સવારથી વીજ પ્રવાહ બંધ થયો અને સાંજે શરૂ થયો હતો, જેથી પાણી આગળ ધકેલી નહોતા શકાયા. સૂત્રોના જણાવ્યા મુજબ વારંવાર વીજ પ્રવાહ બંધ થવાથી આડઅસર રૂપે જી.ડબ્લ્યુ.આઈ.એલ.ની મુખ્ય પાઈપ લઈનોમાં તિરાડો પડવા લાગી છે, જેથી એની મરંમતમાં પણ પાણી બંધ થઈ જાય છે. હા, વીજ પ્રવાહ ન મળતા વિતરણ વ્યવસ્થા ખોરવાઈ : ચેરમેનભુજ નગરપાલિકાની વોટર સપ્લાય સમિતિના ચેરમેન સંજય ઠક્કરે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, પાણીને અંજારથી ભુજીયા સમ્પે લઈ આવવા માટે પમ્પિંગ કરવું પડે. એના માટે વીજ પ્રવાહની જરૂર પડે. પરંતુ, પી.જી.વી.સી.એલ. શિયાળામાં મરંમતનું કામ કરે છે, જેથી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય છે. જોકે, શિયાળો છે એટલે લોકોનો વપરાશ ઘટી જતા લોકોની બહુ ફરિયાદો આવતી નથી.
કચ્છના વર્ષો જુના જમીન મહેસુલના પ્રશ્નોના નિરાકરણ માટે ગાંધીનગર ખાતે ભુજ ધારાસભ્યની આગેવાની હેઠળ પ્રતિનિધિમંડળે કરેલી રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તત્કાળ ઉકેલ આણવા ઉચ્ચ અધિકારી કક્ષાએ સૂચના આપી હતી. ધારાસભ્ય કેશુભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ક્રેડાઇના પ્રવીણ પિંડોરિયા, ચેમ્બર ઓફ કોમર્સના અનિલ ગોર, ગોપાલ ગોરસિયા, બાલકૃષ્ણ મોતા અને જગત વ્યાસ એ રજુઆત મુખ્યત્વે જમીન માપણી વધારવા, નવી જૂની શરત સહિતની રજૂઆત કરી હતી. ધારાસભ્યએ જણાવ્યું કે મહેસુલ તંત્ર દ્વારા કચ્છમાં જમીન માપણી અગાઉ 1962થી 1967 સુધી માત્ર પાંચ વર્ષ માટે થઈ હતી, માપણી વધારવા માટે કિસાનો રજૂઆત કરતા રહ્યા છે પણ દાયકાઓથી વિસંગતતાઓ રહી ગઈ છે જે નિવારવી જરૂરી છે. તે રીતે નવી જૂની શરત તબદીલીને લગતા મામલે રજૂઆત સમજ્યા બાદ મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારી અવંતિકા જી અને મહેસુલ સચિવ જયંતિ રવિને પણ વાકેફ કરતા મહેસુલ સચિવે કચ્છના કલેક્ટરને મહેસુલી મુદ્દે અભ્યાસ કરીને નિર્ણય માટે પ્રક્રિયાની સૂચના આપી હતી. જરૂર પડયે માપણી તેમજ અન્ય જટિલ મુદ્દે ગાંધીનગરથી ઉચ્ચ કક્ષાની ટીમ મોકલવાની પણ હૈયાધારણ આપતા પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.
તાલુકાના ધાણેટી ગામમાં રહેતા દિવ્યાંગ યુવાન પ્રવીણભાઈ સામજીભાઈ માતાએ ગામમાં બાવળિયા નીચે બેસી નિજાનંદ માટે શરૂ કરેલી કોમેન્ટ્રીએ તેને આંતરરાષ્ટ્રીય સફર સુધી પહોચાડ્યો છે. આગામી જાન્યુઆરી મહિનામાં શ્રીલંકામાં યોજાનાર ભારત-શ્રીલંકાની દિવ્યાંગ વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધ પારા ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા કોમેન્ટર તરીકે તેની પસંદગી કરવામાં આવી છે. વાત છે ધાણેટી ગામના 35 વર્ષીય દિવ્યાંગ યુવાન પ્રવીણભાઈ સામજીભાઈ માતા(આહીર)ની. આમ તો દસેક વર્ષની ઉમરથી જ પોતાની બોલવાની આગવી છટાથી લોકોને પ્રભાવિત કરનાર યુવાને વર્ષ 2014 થી ક્રિકેટ મેચમાં કોમેન્ટ્રી કરવાની શરૂઆત કરી હતી. ધાણેટી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલી મેચ દરમિયાન પોતાના ગુરુ હીરજી મેક્સ સાથે બાવળના ઝાડ નીચે બેસી કોમેન્ટ્રી કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ આસપાસના ગામોમાં યોજાતી ટુર્નામેન્ટમાં પણ દિવ્યાંગ યુવાનને કોમેન્ટ્રી માટે આમંત્રિત કરવામાં આવતો હતો અને પોતાના અવાજ અને રમુજી શૈલીથી લોકોના હદયમાં સ્થાન મેળવ્યું હતું. ત્યારે હવે આ દિવ્યાંગ યુવાનની પીસીસીઆઈ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં કોમેન્ટર તરીકે પસંદગી કરવામાં આવી છે અને આગામી 2 થી 6 જાન્યુઆરીના શ્રીલંકામાં યોજાનાર દિવ્યાંગ વન-ડે ક્રિકેટ મેચમાં તેનું અવાજ ગુંજશે. ધ પારા ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયાએ પસંદગી લેટર આપતા ગામના બાવળિયાથી અંતરરાષ્ટ્રીય સ્તરે દિવ્યાંગ યુવાન પહોચ્યો છે. ગત મહીને ગુજરાતના બેસ્ટ કોમેન્ટેટર તરીકે સન્માનમાત્ર ક્રિકેટ મેચ નહિ પરંતુ ગામમાં યોજાતી અન્ય રમતોમાં પણ આ દિવ્યાંગ યુવાન પોતાની સેવા આપે છે. આ ઉપરાંત ધાર્મિક કાર્યક્રમો દરમિયાન પણ પોતાની આગવી છટાથી સ્ટેજ સંચાલન કરે છે. જેનું ગત મહીને જ ગુજરાતના બેસ્ટ કોમેન્ટરોમાં સન્માન થયું હતું. જેની હવે ભારત દેશમાંથી શ્રીલંકા વન-ડે મેચ માટે એકમાત્ર કોમેન્ટર તરીકે પસંદગી થઇ છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.
કચ્છની પશ્ચિમ સરહદ સાચવતા કાળા ડુંગર પર પવિત્ર દત્તાત્રેય તીર્થધામ પર દત્ત જયંતી રજત ઉત્સવ ઉજવાયો અને ઇતિહાસ પણ રચાઈ ગયો, કારણ કે ૧૧૧૧ બહેનોએ પ્રથમ વખત આ સ્થાને મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવારે યોજાયેલા દત્ત ઉત્સવમાં ધાર્મિક શ્રધ્ધા, સામાજિક સંગઠન, સમરસતા તથા દેશ ભકિત અને રાષ્ટ્રીય એકતાના ભાવથી આયોજન કરાયું હતું. કાર્યક્રમોમાં સવારે હવન-યજ્ઞ, મહા પ્રસાદ બાદમાં ધર્મસભાનું આયોજન કરાયું હતું. મુખ્ય વક્તા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના માન.સંઘચાલક ડો.જયંતીભાઈ ભાડેશીયાએ સરહદી સુરક્ષા, સામાજિક સમરસતા અને ધર્મ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી. નારાયણ સરોવર જાગીરના અધ્યક્ષ સોનલ લાલજી મહારાજએ નારી સશક્તિકરણ અને સરહદ સહિતના વિષય પર ઊંડાણપૂર્વક જ્ઞાન આપ્યું હતું. શ્રી દત્ત જન્મોત્સવ અને મહાઆરતી બાદ ઇતિહાસમાં પહેલી વખત ૧૧૧૧ બહેનો દ્વારા મહારાસનું વિશિષ્ટ આયોજન કરાયું હતું. અગ્રણીઓમાં ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, અનિરુદ્ધભાઈ દવે, પી.એમ. જાડેજા અને જિ.પં પ્રમુખ જનકસિંહ જાડેજા. સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ મહેશભાઈ ઓઝા, સીમા જાગરણ મંચ ગુજરાત પ્રાંત સંયોજક જીવણભાઈ આહીર, કચ્છ વિભાગના સંઘચાલક હિંમતસિંહ વસણ, જેન્તીભાઇ નાથાણી, નારણભાઇ વેલાણી, હીરાલાલભાઈ રાજદે સહીત જોડાયા હતા. દત્ત વિકાસ સમિતિના પ્રમુખ વિપુલભાઈ તન્ના, મંત્રી પંકજભાઈ રાજદે, સંયોજક પ્રવીણભાઈ પુજારા, સહસંયોજક દિનેશભાઇ ગજજર, સીમા જાગરણ મંચ પશ્ચિમ કચ્છના સંયોજક રાજેશભાઈ જોષી સહીત દરેક કાર્યકર્તાઓએ રજત જયંતીના આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. { ઉત્સવમાં સંગઠન, સમરસતા તથા દેશ ભકિત જોવા મળ્યા
ધરતીકંપ બાદ અસ્તિત્વમાં આવેલી ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ કચેરીએ સમગ્ર શહેરમાં બાંધકામ માટેની મંજૂરીનું માળખું સંભાળ્યું છે. જૂનું બાંધકામ તોડીને નવું બનાવવા તેમજ પ્લોટ પર નવું બાંધકામ કરવા માટેની મંજૂરી અને કમ્પ્લીશન સર્ટિફિકેટ સુધીની જવાબદારી છે તે કચેરીએ ત્રણ રિલેશન સાઇટ પર વ્યાપારી હેતુથી ખાનગી એજન્સી સાથે પાર્ટનરશીપમાં દુકાનો બનાવી છે. કરાર આધારિત ભાડે આપીને આવક માટેના ઉદ્દેશ સાથે બનાવેલી અનેક દુકાનદારોએ નીચા ભાવે લઈને ઉંચા ભાવે વેંચી પણ મારી છે. તો અનેક દુકાનોના ભાડૂતોએ આગળ અને પાછળ પાકા બાંધકામ કરીને દબાણ કર્યું છે. ભાડાની કચેરી ગત વર્ષે જ એરપોર્ટ રિંગ રોડ પર તેમણે બનાવેલા વ્યવસાયિક સંકુલમાં ખસેડવામાં આવી છે. તે લાઈનમાં અંદાજે 50થી વધુ દુકાનો જે જાહેર હરરાજી કરીને 30 વર્ષના લીઝ કરાર કરીને વેચવામાં આવી છે. તેમાં અનેક રેસ્ટોરન્ટ માલિકોએ બે થી ચાર દુકાનોની દિવાલો કાઢી એક કરીને રેસ્ટોરન્ટ કરી છે. ભાડાએ જે કોમ્પ્લેક્સ બનાવ્યું હતું તેમાં ધરતીકંપના ઝોન_5 ને ધ્યાનમાં રાખીને આગળ અને પાછળ 15 થી 20 ફૂટ ખુલ્લી જગ્યા છોડવામાં આવી હતી. આ સંકુલમાં મોટાભાગની દુકાનોએ પાછળના ભાગમાં ખુલ્લા વિસ્તાર પર અનધિકૃત બાંધકામ કર્યું છે. એટલું જ નહીં રેસ્ટોરન્ટમાંથી નીકળતું ગંદુ પાણી પાછળની કોલોનીની ડ્રેનેજ લાઈનમાં જોઈન્ટ કરી દેવાથી મોટે ભાગે અહીં ગટર ઉભરાય છે. ખાણીપીણીનો વ્યવસાય હોવાથી પાણીની ખપત પણ ખૂબ રહે છે અને નિકાસ પણ વધુ થાય છે. આ સમસ્યાનો ઉકેલ ભુજ નગરપાલિકા લાવે તેવું સંકુલના હોટલ માલિકો અને રહેવાસીઓ ઈચ્છી રહ્યા છે. આ સંકુલની પાછળની ત્રણ કોલોનીના એક હજારથી વધુ રહેવાસીઓ આવી બધી સમસ્યાઓથી ત્રસ્ત થયા છે. વારંવારની રજૂઆતો પછી પણ ઉકેલ નથી આવ્યો તેવું સ્પષ્ટ કહે છે. જોકે આ અંગે ભાડાના અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું કે, દબાણ દૂર કરવાની યાદીમાં આ પણ સમાવિષ્ટ છે એટલે ક્યારે પણ તોડી પાડવામાં આવશે. આરટીઓ સર્કલ પર ભાડાની દુકાનો તો ત્રણ ચાર વાર વેંચાઈ ગઈ !ભુજ શહેરનો વિકાસ કરવા માટે તેમજ પાંચ નાકાની અંદર વસતા લોકોને બહારના વિસ્તારમાં વેપાર કરી આર્થિક સહયોગ આપવાના ઉદ્દેશથી ત્રણેય લોકેશન પર ભાડાએ ખાનગી એજન્સી સાથે પાર્ટનરશીપમાં દુકાનો બનાવી બહુ જ ઓછા દરે ભૂકંપ પીડિત વેપારીને આપવામાં આવી. પરંતુ ત્યારબાદ સારો નફો દેખાતા મોટા ભાગની દુકાનો ત્રણથી ચાર વાર વેંચાઈ ગઈ છે. શહેરના મોટાભાગના દબાણના જથ્થાબંધ વેપારીઓએ અહીં દુકાનો મેળવી હતી. જો નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો આ દુકાનોના ભાડૂતોના કરાર અને હાલના દુકાન ભાડૂતોના કરારમાં વિસંગતતા જોવા મળે.
રમત ગમતમાં સિદ્ધિ:વ્યારા કન્યા વિદ્યાલય રાજ્ય ખોખો ટુર્નામેન્ટમાં પાંચમી વાર ચેમ્પિયન
અમરેલી મુકામે યોજાયેલી રાજ્ય કક્ષાની શાળાકીય ખોખો ટુર્નામેન્ટ (U-19)માં વ્યારાની કે.કે. કદમ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ ફરી એકવાર સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવી ચેમ્પિયનશિપ ટ્રોફી પર કબજો જમાવ્યો છે. શાળાએ આ પ્રતિષ્ઠિત ખિતાબ સતત પાંચમી વખત જીત્યો છે, આ તમામ ખેલાડીઓ ટૂંક સમયમાં મધ્યપ્રદેશ ખાતે યોજાનારી રાષ્ટ્રીય સ્તરની ખોખો સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. વિદ્યાર્થિનીઓના આ ભવ્ય પ્રદર્શન બદલ ર.ફ. દાબુ કેળવણી મંડળના સંચાલકો, શાળાના આચાર્ય, કોચ સુનીલ બી. મિસ્ત્રી તથા મેનેજર સહિત શાળા પરિવારે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા . રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ | શાળાની અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થિનીઓએ રાજ્ય તેમજ રાષ્ટ્રીય ટીમોમાં સ્થાન મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે. બરફ ઉર્મિલા પિન્ટુભાઈ, પટેલ કૃષ્ણા કમલેશભાઈ, ગામીત શ્રેયા વિજયભાઈ, બાબુલ સુસ્મિતા, પવાર રોશની રમેશભાઈ, મકવાણા બંસરી સુરેશભાઈ.
વર્ષો સુધી વ્યારા સુગર ફેક્ટરી બંધ રહેતા શેરડી ઉત્પાદકો આર્થિક સંકટમાં મુકાયા હતા. એજન્ટોના માધ્યમથી શેરડીનો ભાવ માત્ર રૂ. 1500 થી 1800 જેટલો મળતો હતો, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. હાલમાં વ્યારા સુગરના અધ્યક્ષ માનસિંહભાઈ પટેલ દ્વારા અપનાવવામાં આવેલી સીધી ખરીદીની નીતિ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. એજન્ટોની મધ્યસ્થી દૂર કરી, ખેડૂતો પાસેથી સીધી શેરડીની ખરીદીથી શોષણ અટક્યું છે. પારદર્શિતાને લીધે વધ્યો વિશ્વાસ ખેડૂત સમાજે જણાવ્યું કે પારદર્શક પ્રક્રિયા, વાજબી કિંમતો અને સિસ્ટમમાં ઉભો થયેલો વિશ્વાસ આ ત્રણેય તત્વોએ ઉત્પાદકોમાં નવી ઊર્જાનો સંચાર કર્યો છે. માનસિંહભાઈએ સાચા અર્થમાં ખેડૂત કલ્યાણ ને પ્રાથમિકતા આપી છે, અને તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય મળે તે માટે સુગર ફેક્ટરીની ટીમની કામગીરી પ્રશંસનીય છે. ખેડૂતો સાથે મૈત્રિની નિતીઆ નીતિને કારણે વિસ્તારના કૃષિ વિકાસને નવો વેગ મળ્યો છે. તાપી જિલ્લાના ખેડૂતોએ જાહેર વિનંતી કરી છે કે ભવિષ્યમાં કોઈપણ પરિસ્થિતિમાં એજન્ટોને શેરડી ન આપવી, પરંતુ ફક્ત વ્યારા સુગર ફેક્ટરીમાં જ તેનો પુરવઠો કરવો, જેથી પારદર્શિતા અને વાજબી ભાવની પ્રક્રિયા સતત ચાલુ રહે. ખેડૂત સમાજે અંતમાં આશા વ્યક્ત કરી કે માનસિંહભાઈ આગળ પણ આવી જ ખેડૂત-મૈત્રી નીતિઓ દ્વારા કૃષિ વિકાસમાં આગેવાની કરતા રહેશે.
ભાસ્કર વિશેષ:24 કલાક ખુલ્લી રહેતી લાઇબ્રેરીએ વર્ષમાં 12 છાત્રોને અપાવી સરકારી નોકરી
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું માત્ર ત્રણેક હજારથી ઓછી વસ્તી ધરાવતું ઉમરવાવદૂર-ગારપાણી જૂથ ગ્રામપંચાયતનું ગામ આજે શૈક્ષણિક ક્રાંતિનું પ્રેરણાસ્ત્રોત બન્યું છે. કોરોનાકાળ દરમિયાન વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઘરઆંગણે સુવિધા મળી રહે તે માટે યુવાનો દ્વારા શરૂ કરાયેલી એક નાનકડી લાઇબ્રેરીએ ઇતિહાસ રચ્યો છે. અધિકારીઓએ વિઝિટ કરી પુસ્તકો અર્પણ કર્યાઆ નાનકડી લાઇબ્રેરીમાંથી માત્ર એક જ વર્ષમાં ધો. 6 થી 12 સુધીના 9 વિદ્યાર્થીઓએ શિક્ષકની નોકરી મેળવી છે, જે તાપી જિલ્લામાં એક મોટો કિર્તીમાન છે. આ સિવાય ચાલુ વર્ષે અન્ય 3 વિદ્યાર્થીઓએ બેંક અને માર્ગ-મકાન જેવી સરકારી શાખાઓમાં પણ નોકરી મેળવી છે. આ લાઇબ્રેરી ગ્રામજનોની સુવિધા માટે ચોવીસ કલાક ખુલ્લી રહે છે. આ નાનકડા ગામની લાઇબ્રેરીની સિદ્ધિની નોંધ ઉચ્ચ અધિકારીઓએ પણ લીધી છે. તાપીના પૂર્વ DDO અને નિવૃત્ત કમિશનર IAS ડી.ડી. કાપડિયા, પશ્ચિમ રેલવે અધિકારી, IAS રાજેશ ચૌધરી, TDO વિશાલ પટેલ, યુવા PSI કિરણ પાડવી અને PSI પિંકલ ચૌધરીએ રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી મોટિવેશનલ માર્ગદર્શન આપ્યું હતું અને સાથે સાથે અભ્યાસ માટે પુસ્તકોના સેટ પણ ભેટ આપ્યા હતા. હાલ લાઇબ્રેરીમાં 250થી વધુ વિવિધ પુસ્તકો ઉપલબ્ધ છે. અધિકારીઓએ વિઝિટ કરી પુસ્તકો અર્પણ કર્યાલાઇબ્રેરીના સંચાલક ડૉ. રોશન ચૌધરીએ જણાવ્યું હતું કે, અંતરિયાળ ગામમાં લાઇબ્રેરી શરૂ કરવી અને તેને સફળતાપૂર્વક ચલાવવી એ કપરી કામગીરી હતી. તેમણે મિત્ર જતીન ચૌધરી સાથે ચર્ચા કરી મજબૂત ઇરાદાથી કેટલાક યુવામિત્રોને જોડી આ કાર્ય ઉપાડ્યું. અન્ય ગામોના છાત્રો પણ તૈયારી માટે અહીં આવે છેઆસપાસના ગામના વિદ્યાર્થીઓને ખબર પડતાં તેઓ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે અહીં આવવા લાગ્યા. સંચાલકોના મતે, અહીં તૈયારી કરનારા 80% વિદ્યાર્થીઓને સફળતા મળી છે. લાઇબ્રેરીમાં 25 વિદ્યાર્થીઓ અલગથી બેસી વાંચી શકે તે માટે ટેબલ-ખુરશીની ઉત્તમ વ્યવસ્થા છે અને ખુલ્લા વાતાવરણમાં ઝાડ નીચે બેસીને પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
ડાંગરની ચોરી:વાંસદા પોલીસનું નાઈટ પેટ્રોલિંગ નિષ્ફળ, ડાંગરનો પાક ચોરાતાં ધરતીપુત્રો ચિંતિત
વાંસદા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાના સંકેતો મળી રહ્યા છે. ચાપલધરા વિસ્તારના એક ખેડૂતના ખેતરમાંથી તૈયાર ડાંગર પાકની 20 ગુણ (અંદાજે 70 મણ)ની ચોરી થતાં સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો થયો છે. ખેડૂતોમાં ચર્ચા છે કે, પોલીસ માત્ર ‘નાઈટ પેટ્રોલિંગ'ના નામે કાગળ પર કામગીરી બતાવી રહી છે, જ્યારે હકીકતમાં ચોર તત્ત્વોને છૂટો દોર મળી ગયો છે. ચાપલધરા દોડિયા ફળિયામાં રહેતા અને ખેતી તેમજ વકીલાત દ્વારા પરિવારનું ગુજરાન ચલાવતા દિનેશસિંહ ચંદ્રસિંહ ચૌહાણની માલિકીની જમીન (બ્લોક/સર્વે નં.605) પરથી આ ચોરીનો બનાવ બન્યો છે. તેમણે આ વર્ષે પોતાની જમીનમાં ડાંગરનો પાક લીધો હતો. પાક તૈયાર થઈ જતાં તેમણે તેના દાણા છૂટા કરીને આશરે 70 મણ જેટલો પાક રૂ. 35 હજાર 20 ગુણમાં ભરીને 30 નવેમ્બરના રોજ ખેતરમાં ઢાંકીને મૂક્યો હતો. જ્યારે દિનેશસિંહ ચૌહાણ 4 ડિસેમ્બરના રોજ સવારે 8 કલાકે ખેતરે ગયા ત્યારે ખેતરમાં મૂકેલી ડાંગરની એક પણ ગુણ ત્યાં હાજર નહતી. કોઈક અજાણ્યા તત્ત્વોએ રાત્રિના અંધારામાં આ તૈયાર પાકની ચોરી કરી લીધી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર ખેડૂતે વાંસદા પોલીસ મથકે ચોર ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે. આ ચોરીના બનાવ બાદ સ્થાનિક ખેડૂત આલમમાં વાંસદા પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ માત્ર દેખાડા પૂરતી જ કરાતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પોલીસ આ ફરિયાદને ગંભીરતાથી લઈને રાત્રિ પેટ્રોલિંગની નિષ્ક્રિયતા સુધારશે કે કેમ તે તો આવનાર સમયમાં જોવું રહ્યું. હવે પહેરો ભરવાની નોબતહાલમાં શિયાળાની ઋતુ હોય ઠંડીને કારણે ખેડૂતો પણ તેમના ખેતરમાં જવા ખૂબ ઓછો સમય આપી રહ્યાં છે. ત્યારે તસ્કરો પેધા પડતા ખેડૂતોનો ઉભો પાક ચોરી જવાની ઘટના બાદ રાત્રિ પેટ્રોલિંગ પોલીસ કરશે કે પછી ખેડૂતો જ રાત્રિના સમયે પહેરો ભરશે. તેવી પણ ચર્ચા વાંસદા પંથકમાં થઇ રહી છે.
ગંભીર અકસ્માત સર્જાયો:નવસારીમાં બુલેટ ચાલકે સગીરાને અડફેટે લેતા ગંભીર ઇજા
નવસારીના ટેકનિકલ શાળા પાસેથી પસાર થતી 17 વર્ષીય સગીરાને બુલેટ ચાલકે અડફેટે લેતા ઇજા પહોંચી હતી. વાહન ચાલક સામે કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે. નવસારીમાં 24 નવેમ્બરના રોજ સાંજે 5.30 વાગ્યાના અરસામાં અજયભાઈ મહેતાની 17 વર્ષીય દીકરી ભક્તિ રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે નવસારી ટેકનિકલ સ્કૂલ પાસે સીટી સેન્ટરની સામે બુલેટ (નં. GJ-21-DD-7611)નો ચાલક વત્સલ પોતાની બુલેટને પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને આવ્યો અને ભક્તિને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ભક્તિ રોડ પર પટકાઇ હતી, આ ઘટનાને પગલે તેને ગંભીર ઇજા પહોંચી હતી. તેને સારવાર અર્થે ખસેડવામાં આવતા સગીરાને ડાબા હાથની કોણીના ભાગે તેમજ ડાબા પગના ઘૂંટણની નીચેના ભાગે ફ્રેકચર થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના અંગે અહેકો યાકુબભાઇ માપ્યાભાઇ દ્વારા ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એલ્ગાર પરિષદ કેસમાં દિલ્હીના ભૂતપૂર્વ પ્રોફેસર હનીબાબુને જામીન
5 વર્ષથી જેલમાં હતા, હજુ આરોપો પણ ઘડાયા નથી સુપ્રીમમાં અપીલ માટે આદેશ પર સ્ટેની એનઆઈએની માંગ ફગાવાઈઃ યુએન રિલિજયસ ફ્રીડમ રીપોર્ટમાં બાબુના કેસનો ઉલ્લેખ મુંબઈ - હાઈ-પ્રોફાઇલ એલ્ગાર પરિષદ કેસમાં આરોપી, દિલ્હી યુનિવસટીના ભૂતપૂર્વ એસોસિયેટ પ્રોફેસર હની બાબુને ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે ટ્રાયલ વિના પાંચ વર્ષથી વધુ સમય સુધી જેલમાં રહેવાના આધારે જામીન આપ્યા હતા. આ વર્ષે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં કેસની સુનાવણી પૂર્ણ કરનાર જસ્ટિસ એએસ ગડકરી અને આરઆર ભોંસલેની ડિવિઝન બેન્ચે ગુરુવારે બાબુને મુક્ત કરવાનો અને એટલી જ રકમની શ્યોરિટી સાથે એક લાખ રૃપિયાના વ્યક્તિગત બોન્ડ ભરવાનો આદેશ આપ્યો.
અજગરનું રેસ્ક્યૂ:પૂણી ગામે માછલી પકડવાની જાળમાં ફરાયેલા અજગરનું રેસ્ક્યુ
નવસારીના પુણી ગામે માછલી પકડવાની જાળમાં મહાકાય અજગર ફસાઈ જતા તેને વન વિભાગની હાજરીમાં વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ, નવસારીના સદસ્યોએ રેસ્ક્યુ કર્યો હતો. નવસારીના પુણી ગામે આજે એક અનોખી ઘટના સામે આવી છે. ખેડૂતના ખેતરમાં માછલી પકડવા માટે નાંખવામાં આવેલી જાળમાં એક અજગર ફસાયેલો મળ્યો હોવાની માહિતી મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ મામલાની જાણ થતાં જ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ, નવસારીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. સ્વયંસેવકો પાર્થ પટેલ, સાગર પટેલ અને સાવન દ્વારા વન વિભાગના અધિકારી નવલ રાઠોડની હાજરીમાં અત્યંત સાવધાનીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર અજગરની વિગતવાર ચકાસણી બાદ તેની ઉપર જરૂરી સર્જરી હાથ ધરવાની શક્યતા છે. અજગર શિડ્યુલ-1માં આવતી અત્યંત સંરક્ષિત પ્રજાતિ છેવાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના ટ્રસ્ટી ચિંતન મહેતાએ જણાવ્યું કે આ સાપ ભારતીય અજગર હોવાની પુષ્ટિ થઈ છે, જે વન્યજીવન સંરક્ષણ અધિનિયમ પ્રમાણે શિડ્યુલ-1માં આવતી અત્યંત સંરક્ષિત પ્રજાતિ છે. રેસ્ક્યુ દરમિયાન અજગરના શરીર પર મોટી સંખ્યામાં જીવાતો લાગેલા જોવા મળતા તેને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
PIને સન્માનપૂર્વક વિદાય અપાઈ:નવસારી ગ્રામ્ય પીઆઇ ની બદલી થતા પુષ્પ વર્ષા કરી વિદાયમાન અપાયું
નવસારી જિલ્લામાં પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ની આંતરિક બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં ગ્રામ્ય પોલીસ મથકના PI પ્રવીણ પટેલિયાનો પણ સમાવેશ થાય છે. તેમની બદલી થતાં ગ્રામ્ય પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ તેમને પુષ્પવર્ષા કરીને વિદાય આપી હતી. યુવા પીઆઇ પ્રવીણ પટેલિયા છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી ગ્રામ્ય પોલીસ મથકમાં PI તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમની સેવાકાળ દરમિયાન તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વિદાય સમારોહ દરમિયાન, પોલીસ સ્ટાફે તેમની ચેમ્બરથી લઈને ગ્રામ્ય પોલીસ મથકના મુખ્ય ગેટ સુધી પુષ્પવર્ષા કરી હતી. આ પ્રસંગે પોલીસ કર્મચારીઓએ પોતાના અધિકારીને સન્માનપૂર્વક વિદાય આપી હતી.
રિક્ષા એસોસિએશનની રજૂઆત:નવસારી-વિજલપોર રિક્ષા એસો.ની મનપા કમિશનરને રિક્ષા સ્ટેન્ડ ફાળવવા અનુરોધ
નવસારી-વિજલપોર ઓટો રિક્ષા એસોસિએશનના હોદ્દેદારોએ નવસારી મનપાના કમિશનરને આપેલ અરજીમાં જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા વર્ષોથી નવસારીમાં રિક્ષાઓ માટે નવા સ્ટેન્ડ ફાળવવામાં આવ્યા નથી. નવસારીને મનપા જાહેર કરાયા બાદ શહેરમાં ફરતી રિક્ષાઓ માટે જૂના રીક્ષા સ્ટેન્ડ મંજૂર કરવા તેમજ અમુક નવા સ્ટેન્ડ ફાળવાય તો રિક્ષાઓ રસ્તા પર ઊભી રહેતી ઓછી થાય, જેનાથી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળી શકે. એસોસિએશન દ્વારા અગાઉ પણ ટ્રાફિક વિભાગમાં સ્ટેન્ડ માટે અરજી આપવામાં આવી હતી. મહાનગરપાલિકા બન્યા બાદ આમાં સુધારો કરવાની જરૂરિયાત જણાતાં કમિશનરને વિનંતી કરવામાં આવી છે કે તેઓ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેસીને નવા અને જૂના રિક્ષા સ્ટેન્ડ પાછા ફાળવે. હાલમાં મનપામાં 8 ગામોનો સમાવેશ કરાયો છે. ભાસ્કર ઇન્સાઇડજૂના સ્ટેન્ડ 28 હતાનવસારી ઓટો રિક્ષા સ્ટેન્ડના પ્રમુખ રાકેશભાઇ પટેલના જણાવ્યા મુજબ નવસારી મહાનગર પાલિકા બન્યા બાદ રસ્તા પહોળા થયા અને વિકાસના કામો થયા બાદ ઘણા રિક્ષા સ્ટેન્ડ ખોવાયા છે. સ્ટેશન પાસે, બસ સ્ટેશન પાસે પણ રિક્ષા સ્ટેન્ડ મૂકવા જગ્યા નથી. જેથી અમે જૂના સ્ટેન્ડ 28 હતા તેમા વધારો કરી 36 રિક્ષા સ્ટેન્ડની માંગ કરી છે.
નવસારી શહેરમાં પૂર્ણા નદી પરનો મુખ્ય બ્રિજ ભારે વાહનો માટે બંધ થતાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. હાલમાં તમામ ભારે વાહનોનું ભારણ ગ્રીડ ચાર રસ્તા વિસ્તાર તરફ વળ્યું છે, જેના કારણે દિવસ દરમિયાન અહીં સતત ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળે છે. નાગરિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર થયેલા ગેરકાયદેસર દબાણોને યુદ્ધના ધોરણે દૂર કરીને રસ્તાઓને પહોળા કરવા જોઈએ. નવસારી ગ્રીડ હાઈવે આસપાસ સર્વિસ રસ્તા પહોળા થવાથી વાહનોનો પ્રવાહ સરળ બનશે અને ગ્રીડ ચાર રસ્તા પરનું ભારણ પણ હળવું થશે. લાંબા ગાળે મનપાએ રસ્તાઓનું રીસરફેસિંગ કરીને તેની ગુણવત્તા સુધારવી અને પૂર્ણા નદીના બ્રિજ પરના ભારણને કાયમી ધોરણે ઓછું કરવા વૈકલ્પિક વ્યવસ્થાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પૂર્ણા બ્રિજ 8માસથી બંધ છે ગંભીરા બ્રીજ તૂટ્યા બાદ સરકારે જિલ્લાના બ્રિજની મજબૂતાઈ માપવા માટે નિરીક્ષણ કર્યા બાદ હરકતમાં આવી પૂર્ણા નદીનો બ્રિજ ભારે વાહનો ઉપયોગ ન કરે તે માટે 8 માસથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. જેને લઇ આ દબાણ ગ્રીડ પર ન આવે તે માટે મનપા ગ્રીડ પરના દબાણો દૂર કરે તે જરૂરી છે.
ઘરફોડ ચોરીનો બનાવ:પરિવાર સુરતમાં ખમણ વેચવા ગયો નેતસ્કરો 1.46 લાખની મતા ચોરી પલાયન
નવસારીમાં રાત્રિના સમયે ચોરીની ઘટના અટકાવવા પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારી રહી છે પણ તસ્કરો ધોળા દિવસે બંધ ઘરમાં ધાપ મારી હોવાની ઘટના સામે આવી છે. જેમાં સુરતમાં ખમણની લારી ચલાવતા દંપતીના ઘરે દિનદહાડે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. નવસારીના શાંતાદેવી રોડ પર રહેતા ઘનશ્યામ વશરામભાઈ સરડવા (ઉ.વ. 64)એ માહિતી આપતા જણાવ્યું કે તેઓ શિવધારા એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રૂમ નંબર-303માં રહે છે. તેઓ પત્ની સાથે સુરતમાં ખમણની લારી ચલાવે છે. સવારે પાંચ વાગ્યે સુરત પત્ની સાથે જાય છે અને સાંજે પાંચ વાગ્યે ઘરે આવે છે. તા. 29 નવેમ્બરના રોજ તેઓ રાબેતા મુજબ સુરત ગયા હતા. ઘરે સાંજે આવતા જોયું તો તેમના ઘરનું તાળું તૂટેલું હતું અને ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો. ઘરનો કબાટ પણ તૂટેલી હાલતમાં હતો. કબાટમાં તપાસ કરતાં 4 નંગ (2 જોડી) સોનાની બુટ્ટી આશરે વજન 20થી 25 ગ્રામ રૂ.1.35 લાખ, બે ચાંદીની કડલીઓ વજન 10 ગ્રામ રૂ. 1500 અને રોકડા રૂ. 10 હજાર મળી રૂ. 1,46,500 મતાની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા. ધંધાકીય કામમાં રોકાયેલા હોવાથી જે તે દિવસે ફરિયાદ આપી નહતી. જો કે તે દિવસે કામ હોય ચોરીમાં કઈ કઈ વસ્તુ ચોરાઈ ગઈ હોય તેની ખરાઇ કરી પોલીસમાં તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ ટાઉન પોલીસમાં પણ તપાસ એલસીબીને નવસારીમાં શિયાળાની ઋતુની શરૂઆતમાં જ તસ્કરો સક્રિય થયા છે અને શાંતાદેવી રોડ ભરચક વિસ્તારમાં દિનદહાડે ત્રીજા માળેથી ચોરીની ઘટના બની હતી. જેને લઇ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ હાલ એલસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાની માહિતી મળી છે. હજુ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને ડોગ સ્કવોર્ડની તપાસ બાકી છે.
નવસારી મહાનગરપાલિકાએ ટેન્ડર બહાર પાડ્યું:મલ્ટીપરપઝ નવો ઓડિટોરિયમ ખાનગી પાર્ટીને ચલાવવા અપાશે
નવસારીમાં 55 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ મલ્ટી પર્પઝ ઓડિટોરિયમ મનપા હવે ખાનગી પાર્ટીને ચલાવવા આપશે. અગાઉ પાલિકા હતી ત્યારે નવસારીમાં તીઘરા વિસ્તાર નજીક અંદાજે 55 કરોડથી વધુના ખર્ચે ઓડિટોરિયમ બનાવવાનો નિર્ણય લીધો હતો,જેનું કામ પૂર્ણ થતા હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ મલ્ટી પર્પઝ ઓડિટોરિયમમાં ટાઉન હોલ ઉપરાંત બેન્કવેટ હોલ, કોન્ફરન્સ હોલ, એમ્પી થિયેટર પણ છે. હવે મળતી માહિતી મુજબ મનપાએ આ ઓડિટોરિયમ ખાનગી પાર્ટીને ચલાવવા આપવાનો નિર્ણય કર્યો છે અને તે માટે ટેન્ડર પણ બહાર પાડી દીધું છે.એવું પણ જાણવા મળ્યું છે કે મનપા મહત્તમ ભાડું કેટલું લઈ શકે તે પણ જણાવશે.
નવસારીના લુન્સીકૂઈ વિસ્તારમાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખેલાડીઓ અને મુલાકાતીઓની સુવિધા માટે બનાવેલું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જપ્ત કરાયેલા વાહનો અને લારીઓનું ‘ગોડાઉન' બની ગયું છે, જેના કારણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પ્રેક્ટિસ કરવા આવતા સેંકડો ખેલાડીઓ માટે મોટી સમસ્યા ઊભી થઈ છે. મનપાના દબાણ ખાતા દ્વારા ટ્રાફિક અને ફૂટપાથ પરથી જપ્ત કરવામાં આવેલા વાહનોને પાર્કિંગની જગ્યામાં મૂકવામાં આવે છે. તેના પરિણામે ખેલાડીઓ અને તેમના વાલીઓને પોતાના વાહનો પાર્ક કરવા માટે જગ્યા મળતી નથી. તેમને અનિવાર્યપણે પોતાના સ્કૂટર, બાઇક અને કાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બહાર મુખ્ય માર્ગ પર અથવા આસપાસની ગલીઓમાં મૂકવા પડે છે. બહારના રસ્તાઓ પર વાહનો પાર્ક કરવાથી ટ્રાફિક જામની સમસ્યા વધે છે અને વાહનો ચોરાઈ જવાનો અથવા નુકસાન થવાનો ભય પણ રહે છે. આ પાર્કિંગ સુવિધા રમતવીરોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી પરંતુ તેના મૂળ હેતુનો ભંગ થઈ રહ્યો છે. ખેલાડીઓ અને સ્થાનિકોની માગણી છે કે મનપા દ્વારા જપ્ત કરાયેલા વાહનોને તાત્કાલિક અન્ય વૈકલ્પિક સ્થળે ખસેડવામાં આવે, જેથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ ખેલાડીઓ માટે પુનઃસ્થાપિત કરી શકાય. આનાથી રમતગમતની પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાશે.
ભાસ્કર ઇમ્પેક્ટ:નવસારીના લુન્સીકૂઇ મેદાનમાં મનપા દ્વારા ખોદાયેલ ખાડા પુરાયા
વસારી શહેરના હાર્દસમાન અને નાગરિકો માટે હરવા-ફરવાના મુખ્ય સ્થળ ગણાતા લુન્સીકૂઇ મેદાનની બદતર હાલત સુધારવા આખરે તંત્ર હરકતમાં આવ્યું છે. દિવ્ય ભાસ્કર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલના પગલે નવસારી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે મેદાનના ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા ગત સપ્તાહે શૌચાલય બનાવવા માટે લુન્સીકૂઇ મેદાનમાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું અને એક વૃક્ષને પણ કાપી નાખવામાં આવ્યું હતું. જેનો સ્થાનિક ખેલપ્રેમીઓ અને જાગૃત નાગરિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. લોકોના રોષને જોતા મનપાએ કામગીરી તો તાત્કાલિક અસરથી અટકાવી દીધી હતી, પરંતુ ખાડા પુરવાની કામગીરી કરવામાં આવી ન હતી, જેના કારણે ખાડામાં કોઇ પડી જવાનો ભય રહેતો હતો. જેને લઇને દિવ્ય ભાસ્કર દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે જ મનપા હરકતમાં આવી હતી અને તાત્કાલિક ધોરણે ખાડા પુરી જમીન સમતળ કરી હતી. જોકે, મેદાનમાં કરચો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે.
રોડમાં મટિરિયલ હલકી કક્ષાનું વાપરવાનો આક્ષેપ મૂકાયો:છરવાડામાં રસ્તાના કામમાં ગેરરીતિની રાવ
વલસાડના છરવાડા ગામમાં રસ્તાનનુ કામ અધૂરું અને વેઠ ઉતારવાના આક્ષેપ સાથે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે તપાસ કરી કસુરવારો સામે કાર્યવાહી કરવા દાદ માગી છે. વલસાડના છરવાડા ગામના ભરાડિયા ફળિયા મેઇ્ન રોડથી શૈલેષભાઇ પટેલના ઘર સુધી રસ્તાનું કામ કરવામાં આવ્યું હતું. પરંતુ રસ્તાના કામમાં પંચાયત અ્ને કોન્ટ્રાક્ટરના મેળાપીપણાંમાં વેઠ ઉતારવા અ્ને અધુરું કામ હોવાની રાવ કરવામાં આવી છે. હલ્કી કક્ષાની ગુણવત્તાથી રસ્તો ખરાબ થઇ જવા અને અધુરું કામ હોવાની રાવ સરપંચને કરતાં પૈસા પૂરાં થઇ ગયા છે આવશે એટલે બનાવીશું તેમ કહી કોન્ટ્રાકટરને પૂછી લેજો એમ કહ્યું હતુ. કોન્ટ્રાકટરને પૂછતાં ગામ શેરીના રસ્તા આ પ્રકારના બને છે તેવું જણાવ્યું હતું. જેથી અરજદારે યોગ્ય જવાબ ન મળવાની રાવ કરી અરજદારે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા દાદ માગી છે. આ અંગે સરપંચને રજૂઆત કરવા છતાં પ્રતિસાદ મળતો ન હોવાની રાવ કરી છે.
વલસાડ જિલ્લામાં સ્પેશ્યિલ ઇન્ટેન્સિવ રીવિઝનની મુદ્દત સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા 11 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવતાં 1200 બીએલઓ સાથે છેલ્લા 1 માસથી પાલિકાના કર્મચારીઓ, આંગણવાડી કર્મચારીઓ કામે જોતરાયાં બાદ 2002ની યાદીમાં નામો નહિ મળવાની ફરિયાદો સહિતના પ્રશ્ને સરની કાર્યવાહીમાં હજીય નોનમેપિંગ ધારણાં મુજબ નહિ થતાં ચૂંટણી તંત્ર અને બીએલઓની ચિંતા વધી ગઇ છે. તમામ મતદારોનું ડિજિટલાઇઝેશન કરવા જિલ્લા ચૂંટણીતંત્ર એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. પરંતું મોબાઇલ ઉપર પોર્ટલમાં થતાં મેપિંગની કવાયતમાં સરવર ડાઉનની પણ માથાકૂટે સમય વધુ લેતાં બીએલઓને પરસેવો છુટી રહ્યો છે. સરવર ડાઉનની સમસ્યાને લઇ સર્ફિંગમાં લાંબો સમય નિકળી જાય છે. જિલ્લા ચૂંટણી અધિકારી ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ સરની આ કામગીરી માટે સરકારી કર્મચારીઓનો કાફલો કામે લાગ્યો છે. ગણતરી ફોર્મ સબમીટ કરવાની મુદ્દત લંબાઇ છે. ખાસ તો અનેક મતદારોના નામો 2002ની મતદાર યાદીમાં નહિ મળતાં મુશ્કેલીઓ ઉભી થઇ હતી કેટલાક વિસ્તારો ગાયબ જણાતાં વધુ પ્રશ્ન સર્જાવા સહિતના કારણોને લઇ મુદ્દત 11 ડિસેમ્બર 2025 સુધી લંબાવી 100 ટકા ગણતરી ફોર્મ ભરવાની કવાયત જારી રાખવામાં આવી છે.પરંતું હજી મતદારોના ફોર્મનું નોન મેપિંગ બતાવતાં બીએલઓની કામગીરી જટિલ બની રહી હોવાનું બીએલઓ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. બીએલઓ કહે છે કે, હજીય પ્રશ્નો સપાટી પર આવી રહ્યા છે ભાગડાવડામાં એક મહિલાનું નામ 2002માં શોધવા ચૂંટણી આયોગની વેબસાઇટ પર સર્ચ કરતાં સરખા નામ ધરાવતા 2 નામો નિકળ્યા હતા.જેમાં એક નામ ધરાસણા ગામનું અને એક નામ જિલ્લા બહારનું નિકળ્યું હતું. પણ ભાગડાવડાના મહિલાનું નામ નહિ નિકળ્યું હતું.છતાં મહિલાએ ફોર્મ રજૂ કર્યું છે. તેમાં અન્ય વિગતો કેવી રીતે ભરવી તે સવાલ ઉભો થયો છે. BLO સાથે પાલિકાના વધુ કર્મચારીઓ ફાળવાયા વલસાડ જિલ્લામાં પાલિકાઓમાં જૂના જે બીએલઓ ફાળવાયા હતા તેમની સાથે આંગણવાડી કાર્યકરોને જોતર્યા બાદ ઝડપી કામગીરી માટે પાલિકાઓની અન્ય શાખાના કર્મચારીઓને પણ સામેલ કરવાની ફરજ પડી રહી છે.દિવસો ઓછાં રહી ગયા છે અને તેમાં નોન મેપિંગ ગણતરી ફોર્મ્સના કારણે 11 ડિસેમ્બર 2025 સુધીમાં 100 ટકા મેપિંગ કરવા મથામણ વધી છે. ફોર્મ ભરી દીધાં પણ ડિજિટલા- ઇઝેશનની સંખ્યા ઓછી બતાવેવલસાડ જિલ્લામાં બીએલઓ દ્વારા ડોર ટુ ડોર,કાર્યકરો,વોર્ડ સભ્યો સાથે બેસી ડિજિટલાઇઝેશન માટે ગણતરી ફોર્મ ભરવામાં આવ્યા છે. ફોર્મ બીએલઓને આપવામાં આવેલા પોર્ટલ લિંન્કમાં ભરવાની હોય છે.બીએલઓ દ્વારા તેમને સોંપવામાં આવેલા ફોર્મ્સ મુજબ ભરવા છતાં કુલ ફોર્મનું મેપિંગ ઓછું બતાવતાં ચિંતા ઉભી થઇ રહી છે.
આગ લાગી:ના દાદરા દેમણી રોડ પર કંપનીમાં આગથી અફરા તફરી
દાદરા દેમણી રોડ પર આવેલ અક્ષત ફાયબર કંપનીમા સવારે કોઈક કારણસર આગ લાગી હતી આ આગને જોતા કંપનીમા કામ કરતા કર્મચારીઓ તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. બાદમા કંપની સંચાલકે ફાયર વિભાગને ફોન કરતા સેલવાસ અને ખાનવેલની ફાયરની ટીમ પોહચી એક કલાકની જેહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.ઘટનાની જાણ થતા દાદરા પોલીસની ટીમ પણ પોહચી ગઈ હતી. તપાસમા જાણવા મળ્યુ કે કંપનીમા ધાગાના વેસ્ટેજમા આગ પકડી લીધી હતી આ ઘટનામા કોઈ ઇજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.
વાંસદા તાલુકાની માધ્યમિક ગ્રામશાળા પ્રતાપનગરના સંચાલકોની ગંભીર બેદરકારી બહાર આવી છે. મળતી માહિતી મુજબ શાળાની એક વિદ્યાર્થિની ધોરણ-10માં નાપાસ થયા છતાં નિયમોના ઉલ્લંઘન સાથે તેને ધોરણ-11માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. બાદમાં વિદ્યાર્થિની ધોરણ-11માં પાસ થતાં તેને ધોરણ-12માં પણ એડમિશન મળ્યું હતું. વિદ્યાર્થિની ધોરણ-12ની પ્રથમ આંતરિક પરીક્ષા પણ સફળતાપૂર્વક આપી ચૂકી હતી પરંતુ ધોરણ-12ની બોર્ડ પરીક્ષાનું ફોર્મ ભરવાનું શરૂ થતા જ શાળા સંચાલકોને પોતાની ગંભીર ખામીની જાણ થઈ. પરિણામે વિદ્યાર્થીનીને સ્કૂલે આવવા મનાઈ કરીને તેની હાજરી બંધ કરી દેવામાં આવી હતી. આ અચાનક લેવાયેલા નિર્ણયથી વિદ્યાર્થિની અને પરિવાર પર માનસિક આંચકો સર્જાયો છે. સમગ્ર મામલે વિદ્યાર્થિનીએ સંબંધિત અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી ન્યાય માંગ્યો છે. શાળાની આ બેદરકારી શૈક્ષણિક બેદરકારી તરીકે ચર્ચાનો વિષય બની છે. હવે શિક્ષણ વિભાગ શું પગલાં લે છે તે જોવાનું રહ્યું. વિદ્યાર્થિનીની કલેકટરને ફરિયાદ શાળા સંચાલકોને લાપરવાહીની જાણ થતા જ વિવાદિત પ્રકરણને દબાવી દેવા માટે વિદ્યાર્થિની પર ધોરણ-11 અને 12ની માર્કશીટ લઈ લેવામાં આવી હોવાના આક્ષેપો થયા છે. પોતાના કારકિર્દીના બે વર્ષ બગાડ્યા હોવાનું જણાવી ન્યાયની માંગ સાથે વિદ્યાર્થીઓએ શાળાના જવાબદારો સામે કાર્યવાહી કરવાની લેખિત માંગ કલેકટરને કરી છે. હાઇસ્કૂલ સંચાલકો સામે કાર્યવાહી થવી જોઈએ વિદ્યાર્થીનીને ધોરણ-10માં નાપાસ હોવા છતાં નિયમ વિરુદ્ધ ધોરણ-11માં પ્રવેશ આપવો અને ધોરણ-12 સુધી અભ્યાસ કરાવ્યા પછી બોર્ડ ફોર્મ સમયે બહાર કરી દેવા જેવી ગંભીર બેદરકારી સામે શાળા સંચાલકો પર તાત્કાલિક તથા કડક કાર્યવાહી કરવી જરૂરી છે. શિક્ષણના નિયમો અને વિદ્યાર્થીના ભવિષ્ય સાથે થયેલી આવી લાપરવાહી સામે સંબંધિત અધિકારીઓએ કાનૂની તથા વિભાગીય પગલાં લેવાની માંગ ઉઠી રહી છે. શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે? નવસારી જિલ્લામાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી ત્યારબાદ સ્કૂલની બહાર વિદ્યાર્થીનો અન્ય વિદ્યાર્થી પર હૂમલા જેવી ઘટનાઓ બની ચુકી છે. જેને લઇ સમગ્ર શિક્ષણ જગત સ્તબ્ધ બન્યું છે. ત્યાં હવે વધુ એક પ્રકરણ બહાર આવ્યું છે. જેમાં એક શાળામાં એસએસસીમાં નાપાસ થવા છતાં. છાત્રાને આગળના વર્ગમાં મોકલી દેવાની પ્રવૃત્તિ આચરી દેવાઇ છે. આવી ગંભીર બેદરકારી અને વર્ષ બગડવાની ચેષ્ટા સામે નવસારી જિલ્લા શિક્ષણ વિભાગ કેવા પ્રકારના પગલા ભરશે તે જોવું રહ્યું.
ઉત્કૃષ્ટ પ્રદર્શન:ભાટ પ્રા. શાળાના બાળ વૈજ્ઞાનિકોની ‘ગો ગ્રીન એનર્જી’ કૃતિ જિલ્લા કક્ષાએ પ્રથમ
આંતલિયા અસ્પી કન્યા વિદ્યાલયમાં યોજાયેલ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26માં ભાટ પ્રાથમિક વિદ્યામંદિર દ્વારા રજુ કરાયેલ વિભાગ-3 માં ગો ગ્રીન એનર્જી કૃતિ બેસ્ટ કૃતિ તરીકે પસંદગી પામતા દક્ષિણ ઝોન કક્ષાના પ્રદર્શનમાં નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનાર છે. ગો ગ્રીન એનર્જી કૃતિ દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ પવન અને સૌર ઊર્જા ગતિ ઊર્જાનો મહત્તમ ઉપયોગ કરવા પ્રેરિત કરે છે. ભાટ પ્રાથમિક શાળાએ આ અગાઉ બેવાર રાષ્ટ્રીય કક્ષાએ ત્રણવાર રાજ્ય કક્ષાએ પ્રદર્શનમાં ભાગ લે શાળાની આગવી ઓળખ ઊભી કરી વૈજ્ઞાનિક પ્રદર્શનમાં હંમેશા અગ્રેસર રહી છે. આ સિદ્ધિ હાંસલ કરવા બદલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રાજેશભાઈ ઝાલોરીયા, બીઆરસી કો.ઓર્ડિનેટર સોનલબેન કનેરિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અજુબેન્દ્રભાઈ પટેલ, ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ટંડેલ, ભાટ પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પેશભાઈ પટેલ, સરપંચ ઉપસરપંચ માછી સમાજ એસએમસી પરિવાર સમસ્ત ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા. આ કૃતિ માટે માર્ગદર્શક શિક્ષક પિયુષકુમારસિંહ ટંડેલ, હેતવીબેન ટંડેલ સહિત સૌએ આનંદ વ્યક્ત કર્યો હતો.
માગશરી પૂનમ ભગવાન દત્તાત્રેયની જન્મ જયંતીદિન જેમને દૈવી ત્રિમૂર્તિ -બ્રહ્મા, વિષ્ણુ અને શિવના અવતાર માનવામાં આવે છે. દત્ત એટલે અર્પણ કરેલું આપેલું’ આ દૈવી ત્રિમૂર્તિએ ઋષિ દંપત્તિ અત્રિ અને અનસૂયાના પુત્ર સ્વરૂપે અવતાર ધારણ કર્યો હતો. આજના દત્તાત્રેય જયંતીના પવિત્ર ઉત્સવમાં શ્રી તીર્થ નારેશ્વર ધામથી આગામી જુલાઈમાં મોટા પડદે પ્રસ્તુત થનાર ચિત્રપટ -યોગીરાજ રંગ અવધૂત-ફિલ્મ નહીં, આધ્યાત્મિક યાત્રાના સત્તાવાર પોસ્ટરનું બસોથી વધુ જગ્યાએ વિમોચન કરાયું. ખેરગામ સરસીયા ફળિયા ખાતે બ્રહ્મલીન સ્વામી કૃષ્નાનંદજી દ્વારા સ્થાપિત દત્ત મંદિરમાં ખેરગામના રંગ અવધૂત અનુયાયી ભૂદેવ ઋષિ ભટ્ટ દ્વારા સમૂહ પાદુકા પૂજન કરાયું. જેના સમાપન બાદ મંદિરના પ્રાંગણમાં અનેક રંગ ભક્તો અને છાત્રાઓની ઉપસ્થિતિમાં -યોગીરાજ રંગ અવધૂત- ફિલ્મના પોસ્ટરનું સૌપ્રથમ દત્ત બાવનીના સમૂહ ગાન થયા બાદ દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભની ધૂન જય ગુરુદેવના નાદ સાથે માજી આચાર્ય ભરત નાયક, આદિત્ય, વિમલ, કિશોરભાઈ, અરુણ દેસાઈ, વિનોદ મિસ્ત્રી જય આચાર્ય વિ. દ્વારા વિમોચન કરવામાં આવ્યું જેને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યું હતું. વિનોદ મિસ્ત્રી-ઋષિ ભટ્ટે માહિતી આપી હતી. બાદમાં તેનું ગર્ભગૃહમાં સ્થાપન કરવામાં આવ્યું હતું. પૂ.બાપજીના જુલાઈમાં મોટા પડદે પ્રદર્શિત થનારા પરમ દિવ્ય જીવન કવન આધારિત ચિત્રપટના પોસ્ટર નિદર્શનમાં શિક્ષકો સાથે ખેરગામ રામજી મંદિરના ઘણા રંગ ભક્તો પણ જોડાયા હતા. ધૂન ગાન બાદ સર્વેએ મહાપ્રસાદ લીધો હતો. સંચાલક કાળીદાસ પટેલે આભાર માન્યો હતો.
વિતરણ:ઉમરસાડીની JVBS હાઈસ્કૂલમાં સાયકલનું વિતરણ કરાયું
જે . વી. બી.એસ. હાઈ સ્કૂલ, ઉમરસાડી માં સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9 ની બાળાઓને દિનેશકુમાર એમ ટંડેલ (માજી આચાર્ય જે. એન. સી. હાઈ સ્કુલ, મરોલી.) ના હસ્તે સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે માટે શાળાના આચાર્ય તેમજ શિક્ષક ગણ lની સહભાગીદારી થી તમામ કાર્યક્રમનું આયોજન થયું બાળકોમાં આનંદની લાગણી અનુભવાયી. શાળા પરિવાર દ્વારા સરકારને આ યોજના માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પોસ્ટરનું વિમોચન કરાયું:ધરમપુરમાં દત્તાત્રેય જયંતિએ “યોગીરાજ રંગ અવધૂત” ફિલ્મના પોસ્ટરનું વિમોચન
ધરમપુરનાં શ્રી રંગ પરિવારે ભગવાન દત્તાત્રેયના પાવન અવતરણ દિવસ નિમિત્તે શ્રી રંગ અવધૂત મંદિરે દત્ત જયંતિની ભક્તિમય ઉજવણી યોજી હતી. પ્રાતઃકાળે દત્તનામ સંકીર્તન અને ‘દિગંબરા દિગંબરા શ્રીપાદ’ ધૂનથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ત્યારબાદ શણગાર આરતી, પાદુકાપૂજન અને મહાપ્રસાદ સહિતની વિધિઓમાં ભક્તોએ ઉમંગભેર ભાગ લીધો હતો. રંગ અવધૂત મહારાજના જીવન પર આધારિત ગુજરાતી ફિલ્મ “યોગીરાજ રંગ અવધૂત”નાં ઑફિશિયલ પોસ્ટરનું વિમોચન કરાયું હતુ. શ્રી રંગ પરિવાર, ધરમપુરનાં અગ્રણીઓ નીતિનભાઈ કાપડિયા,ભીખુભાઈ પરમારનાં હસ્તે પોસ્ટરનું અનાવરણ થયું હતું. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ, આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા. રંગ અવધૂત મહારાજ અને દત્ત પરંપરાના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને સમર્પિત આ ફિલ્મ રંગ અવધૂત મહારાજના ઉપદેશો, વ્યક્તિત્વને નવા પેઢી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. 2026માં આવનારી આ ફિલ્મનાં પોસ્ટર વિમોચન પ્રસંગે હાજર આગેવાનો અને ભક્તોએ ફિલ્મને શુભકામનાઓ પાઠવી હતી.
હિન્દુ સંમેલનનું આયોજન કરાયું:ધરમપુર વાઘવળ ગામે હિન્દુ સંમેલનમાં 150 મંદિર નિર્માણનો સંકલ્પ ચરિતાર્થ
વલસાડ જીલ્લાનાં ધરમપુર તાલુકાનાં અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં આવેલ વાઘવળ ગામે શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ-વાપી (યુ.એસ.એ.) દ્વારા આયોજીત દત્તાત્રેય મંદિરનાં સભાગૃહ પ્રવેશનાં ઉદ્ઘાટન અને વિરાટ હિન્દુ સંત સંમેલનનું તા. ૩જી ડિસેમ્બર 2025નાં બુધવારનાં રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. આ અવસરે આદિવાસી લોકગીત અને વાંજીત્રોનાં સથવારે શોભાયાત્રા નિકળી હતી. આ કાર્યક્રમમાં વલસાડ જીલ્લા સહિત વિવિધ વિસ્તારોમાંથી પધારેલા સંતો અને મહાનુભાવોનાં હસ્તે દિપપ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત સંતો અને મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું. વિરાટ હિન્દુ સંમેલનમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા જણાવ્યુ કે પરમાત્મા આપણી પરીક્ષા લે છે. પરમાત્મા આપણી ધીરજ જોતા છે. સુખી થવુ હોય તો મંદિરમાં જાઓ, ભગવાનનાં દર્શન કરો, સંતોનાં દર્શન કરો, સંતોને સાંભળો, ભજન કિર્તન કરો ઈષ્ટ દેવ, રામનામ જાપ કરો, જય હનુમાન, જયશ્રી કૃષ્ણા, જય સ્વામિનારાયણનું સ્મરણ કરો, હનુમાન દાદા તમામ દુઃખ રોગ પીળા દૂર કરી દેશે. કળિયુગમાં ભગવાનની ભક્તિ જ તમને તમામ પ્રકારની મુશ્કેલીમાંથી બહાર કાઢશે અને સુખી રાખશે. ભગવાન દત્તાત્રેય સકારાત્મક ઉર્જાનાં સ્વામી છે. આ દત્તાત્રેય મંદિરનાં સભાપ્રવેશગૃહ 4.50 લાખનાં ખર્ચે દાતાઓનાં સહયોગથી બનાવવામાં આવ્યો છે. આ સભાગૃહ મંડપમાં દરરોજ ભજન, કિર્તન, સમુહ ભક્તિ માટે આહવાન કર્યુ હતું. આ અવસરે શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ-યુ.એસ.એ.નાં મેનેજીંગ ટ્રસ્ટી પૂ. કપિલ સ્વામીજીએ 150 ઉપરાંત મંદિર નિર્માણનાં સંકલ્પને ચરિતાર્થ કર્યાની માહિતી આપી હતી તેમજ આગામી ટુંક સમયમાં 51 આદિવાસી દિકરીઓ માટે સમુહ લગ્નનાં આયોજનની જાહેરાત કરી હતી. આ સમુહ લગ્નમાં ગરીબ આદિવાસીઓ દિકરીઓ પ્રભૂતામાં પગલા માંડશેનું જણાવી સૌ દાતાઓનો સહકાર બદલ આભાર માન્યો હતો. આ વિરાટ હિન્દુ સંમેલનમાં પધારેલા સ્વામિનારાયણ સંપ્રદાયનાં સૌથી મોટા મંદિર પૈકીનાં એક એવા વડતાલ સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ મંદિરનાં ચેરમેન સંત સ્વામીજીએ જયશ્રી રામ, હર હર મહાદેવનાં નારા સાથે સંબોધનની શરૂઆત કરતા જણાવ્યુ કે આવા અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં સરકાર પણ કામ કરવામાં પાછળ પડી જતુ હોય જે કામ કરતા નથી કરી શકતુ એ સેવાકીય કામ સ્વામિનારાયણનાં સંતો કરી રહ્યા છે. પૂજય કપિલ સ્વામીજીને ટાંકીને તેમના દ્વારા થતા સેવાકીય પ્રવૃતિની સરાહના કરતા જણાવ્યુ હતુ કે માત્ર વલસાડ જીલ્લો જ નહી સમગ્ર ગુજરાત, દેશ-વિદેશમાં પણ કપિલ સ્વામીજીએ સેવાકીય પ્રવૃતિની સુવાસ ફેલાવી છે અને જરૂર પડયે વડતાલ મંદિર માટે પણ મોટાપાયે તન મન ધનથી સેવા પૂરી પાડી રહ્યા છે. મંદિર નિર્માણની કામગીરીની સરાહના કરતા જણાવ્યુ હતુ કે જે પોતાના ઈષ્ટદેવના મંદિરોનાં નિર્માણની સાથે સાથે હિન્દુ દેવી દેવતાઓનાં પણ મંદિર બનાવે એ સ્વામિનારાયણ સંપ્રદાય. અમને એ વાતનો ગર્વ છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સલવાવનાં સ્વામી રામકૃષ્ણદાસજીએ કર્યુ હતું.
ક્લગામ પ્રાથમિક શાળામાં 4 ડિસેમ્બરે તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વર્ષ 2025,26 ને ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકરે ખુલ્લું મૂક્યું હતું. બે દિવસ ચાલનારા પ્રદર્શનમાં પાંચ વિભાગોમાં બાળ વૈજ્ઞાનિકોએ 75 કૃતિઓ રજૂ કરી છે. ક્લગામ પ્રાથમિક શાળા માં વર્ષ 2025,26 નું ઉમરગામ તાલુકા બી.આર.સી.કક્ષા નું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મૂકયુ છે.અગાઉ આ ફણસા પ્રાથમિક શાળા નો બાળ વૈજ્ઞાનિકે કચરા ના વ્યવસ્થાપન માં નેશનલ લેબલ પ્રથમ ક્રમ મેળવ્યો હતો.જેનું ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર ના હસ્તે પ્રમાણ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.નેશનલ લેવલે વિજેતા બનેલા વિદ્યાર્થીએ માર્ગદર્શન બનેલા શિક્ષિકા ફાલ્ગુનીબેન પટેલ અને શાળાને ગૌરવ અપાવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માં ટકાઉ ખેતી,કચરા નું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકનાં વિકલ્પો,હરિત ઉર્જા અને ગ્રીન એનર્જી,વિકસિત નવીન ટેક્નોલોજી, મનોરંજન સંબંધિત ગાણિતિક મોડેલિંગ, આરોગ્ય અને સ્વછતા, જળ સરક્ષણમાં પાંચ વિભાગોમાં 75 કૃતિઓ રજૂ કરી હતી. દરેક વિભાગમાં 15 કૃતિ રજૂ કરાઈ હતી. ત્રણ વિભાગો ફણસા શાળામાં અને બે વિભાગો વડીયા સ્કૂલ ના મકાનમાં રાખ્યા છે. ઉમરગામના શિક્ષણ વિભાગના અધિકારીઓ, બી.આર.સી સ્ટાફ, શિક્ષકો, સરપંચો, હોદ્દેદારોની ઉપસ્થિતિ વચ્ચે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને ખુલ્લું મૂકાયું છે. 5 ડિસબરે સમાપન પ્રસંગે વિજેતા બનેલ કૃતિઓ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં મૂકાશે.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ભારતમાં આગમન વિશે રહ્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને આવકારવા એરપોર્ટ પર પહોંચ્યા હતા. બીજા મોટા સમાચાર દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગો દ્વારા 300 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી તેના વિશે રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. 1984ના શીખ વિરોધી રમખાણોમાં દોષિત બલવંત ખોખરની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે. 2. પુતિન પીએમ મોદી સાથે દિલ્હીમાં 23મા ભારત-રશિયા દ્વિપક્ષીય શિખર સંમેલનમાં ભાગ લેશે. કાલના મોટા સમાચારો 1. પુતિને કહ્યું- ભારત ભાગ્યશાળી, તેમની પાસે મોદી છે:તેઓ કોઈના દબાણમાં નથી આવતા, ઘણા દેશો ભારતની પ્રગતિની ઈર્ષ્યા કરે છે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતને મહાન શક્તિ ગણાવતા કહ્યું છે કે પીએમ મોદી કોઈ દબાણમાં આવતા નથી. તેમણે આ વાત મોસ્કોમાં ઇન્ડિયા ટુડેને આપેલા ઇન્ટરવ્યુમાં કહી. પુતિને પીએમ મોદીની નેતૃત્વ, ભારત-રશિયા સંબંધો, વૈશ્વિક રાજકારણ અને અમેરિકાની નીતિઓ પર ખુલીને વાત કરી. પુતિને કહ્યું કે મોદી દબાણમાં આવનારા નેતાઓમાંના નથી અને ભારત એક મહાન શક્તિ તરીકે દુનિયામાં ઉભરી રહ્યું છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અમેરિકા ભારત પર ટેરિફ લગાવીને રાજકીય દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો પુતિને સ્પષ્ટ કહ્યું કે ભારત પોતાની સ્વતંત્ર નીતિ પર ચાલે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. સુપ્રીમ કોર્ટે કહ્યું- સરકારી કર્મચારીઓને SIR ડ્યુટી નિભાવવી પડશે:વધુ બોજ હોય તો સ્ટાફ વધારો; 7 રાજ્યોમાં 29 BLOના મોત થયા છે સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું કે રાજ્ય સરકારો અથવા રાજ્ય ચૂંટણી પંચો દ્વારા નિયુક્ત કર્મચારીઓએ SIRની ફરજ બજાવવી પડશે. જો કોઈની પાસે ફરજમાંથી મુક્તિ માગવાનું કોઈ ખાસ કારણ હોય, તો રાજ્ય સરકાર તેમની અપીલ પર વિચાર કરીને તેમની જગ્યાએ અન્ય કર્મચારીની નિમણૂક કરી શકે છે. ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે જણાવ્યું કે રાજ્ય સરકારના કર્મચારીઓ SIR સહિતના અન્ય વૈધાનિક કાર્યો કરવા માટે બંધાયેલા છે. રાજ્ય સરકારોની પણ ફરજ છે કે તેઓ ચૂંટણી પંચ (EC)ને કર્મચારીઓ ઉપલબ્ધ કરાવે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઇન્ડિગોમાં ક્રૂ-સંકટ, કંપની પાસે માણસો નથી!:300 ફ્લાઇટ્સ રદ; જયપુર, દિલ્હી, ઈન્દોરમાં હજારો મુસાફરો અટવાયા; 3 પેસેન્જર બેભાન એવિએશન સેક્ટરમાં નવા સલામતી નિયમોને કારણે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સતત ત્રીજા દિવસે ક્રૂની અછતનો સામનો કરી રહી છે. આનાથી ઇન્ડિગોના સંચાલન પર ગંભીર અસર પડી છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ગુરુવારે એકલા મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ એરપોર્ટ પર 300થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. પુણે એરપોર્ટ પર એક મુસાફરે આઠ કલાકથી વધુ સમય રાહ જોયાની જાણ કરી. એરપોર્ટના બંને માળ મુસાફરોથી ભરેલા હતા. ત્રણ મુસાફર બેભાન પણ થઈ ગયા. ફ્લાઇટ રદ કરવા અંગે એરલાઇન તરફથી કોઈ મેસેજ નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. અમેરિકામાં પાકિસ્તાની PM-આર્મી ચીફ પર પ્રતિબંધ લગાવવાની માગ:44 અમેરિકી સાંસદોએ વિદેશ મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- પાકિસ્તાનમાં તાનાશાહી વધી રહી છે અમેરિકી સંસદના 44 સાંસદોએ બુધવારે વિદેશ મંત્રી માર્કો રુબિયોને પત્ર લખીને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને આર્મી ચીફ આસિમ મુનીર પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. આ સાંસદોનો આરોપ છે કે પાકિસ્તાનમાં સેના સરકાર ચલાવી રહી છે. દેશમાં સામાન્ય લોકોના અધિકારોનું મોટા પાયે હનન થઈ રહ્યું છે. વિદેશમાં રહેતા પાકિસ્તાની મૂળના અમેરિકી નાગરિકોને પણ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવવા પર ધમકીઓ આપવામાં આવી રહી છે. આ પત્ર ડેમોક્રેટિક મહિલા સાંસદ પ્રમિલા જયપાલ અને સાંસદ ગ્રેગ કાસરના નેતૃત્વમાં લખવામાં આવ્યો છે. આમાં સાંસદોએ કહ્યું કે પાકિસ્તાનમાં તાનાશાહી વધી રહી છે. પત્રકારોને ધમકાવવામાં આવી રહ્યા છે, અપહરણ કરવામાં આવી રહ્યું છે અથવા દેશ છોડવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. સોનું ₹459 ઘટીને ₹1.28 લાખ પ્રતિ 10 ગ્રામ થયું:ચાંદી ₹2,477 ઘટીને ₹1.76 લાખ પ્રતિ કિલો વેચાઈ રહી છે, કેરેટ મુજબ સોનાની કિંમત જુઓ આજે એટલે કે 4 ડિસેમ્બરે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ સોનું 459 રૂપિયા સસ્તું થઈને 1,27,755 રૂપિયા થયું છે. આ પહેલા સોનું 1,28,214 રૂપિયાનું હતું. અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત ₹1,30,410 છે. જ્યારે, ચાંદીનો ભાવ 2,477 રૂપિયા ઘટીને 1,75,713 રૂપિયા થઈ ગયો છે. આ પહેલા ચાંદીની કિંમત 1,78,190 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાત ATSએ ISIS સાથે સંકળાયેલા બે જાસૂસની ધરપકડ કરી:નિવૃત્ત આર્મી મેન પોસ્ટિંગથી લઈ મૂવમેન્ટની માહિતી પાકિસ્તાન પહોંચાડતો ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આજે(4 ડિસેમ્બર) ATSએ જાસૂસી કરતા બે આરોપીની ધરપકડ કરી છે. ગોવાથી રાશમની રવીન્દ્ર પાલ નામની મહિલા અને દમણમાંથી એ.કે. સિંહ નામની વ્યક્તિની ધરપકડ કરી છે. બંને આરોપી પાકિસ્તાનના સંપર્કમાં હતાં અને ISIS માટે કામ કરતા હતા. તેઓ સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરી માહિતી પહોંચાડતાં હતાં. હાલ ATSએ બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આરોપી એ.કે. સિંહ આર્મીમાં સુબેદાર હતો અને તે પાકિસ્તાનના જાસૂસોને આર્મીની માહિતી આપતો હતો. જ્યારે રાશમની હનીટ્રેપ કરી આર્મી જવાનો પાસેથી માહિતી મેળવી પાકિસ્તાની હેન્ડલર્સને પહોંચાડતી હતી. તેમજ તે મહેમદાવાદા તાલુકાના કાચ્છઈ ગામના યુવકના શખ્સના સંપર્કમાં હતી.આ યુવક સાથેની સંવેદનશીલ કડીઓ સામે આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરીને જજો!:દિલ્હી-હૈદરાબાદથી આવતી 3 ફ્લાઈટ કેન્સલ, દુબઈ-મુંબઈ સહિતની 12 ડીલે; કાઉન્ટર પર પેસેન્જરોની લાંબી લાઈન સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગોના કાઉન્ટર આગળ મુસાફરોની લાંબી કતારો અને ગુસ્સાનો માહોલ છવાયો છે. નવા DGCA સલામતી નિયમોના કારણે ક્રૂની અછતને લીધે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સતત ત્રીજા દિવસે ભારે સંકટમાં છે. દેશભરમાં ગઈકાલે 300થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ, જ્યારે આજે બપોર સુધીમાં અમદાવાદ આવતી 3 ફ્લાઇટ્સ કેન્સલ, 12 ફ્લાઈટ્સ મોડી અને અમદાવાદથી જતી 9 ફ્લાઇટ્સ પણ મોડી પડી છે, જેના કારણે હજારો મુસાફરો એરપોર્ટ પર જ ફસાયા છે અને આવતીકાલની ફ્લાઇટ મળશે કે કેમ તેની પણ કોઈ ખાતરી નથી. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ઝાંસીમાં અમિતાભ બચ્ચનનો વોટ, 2003માં મતદાન કર્યું!:વોટર લિસ્ટમાં નામ મળ્યું, મકાન નંબર-54; પડોશીઓ બોલ્યા- અમે ફક્ત ફિલ્મોમાં જોયા છે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ઇમરાનની બહેને કહ્યું- આસિમ મુનીર ઇસ્લામી કટ્ટરપંથી:ભારત સાથે યુદ્ધ ઇચ્છે છે, ઈમરાન BJP સાથે સંબંધો સુધારવા ઇચ્છતા હતા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : બાબરી બનાવવાની જાહેરાત કરનાર TMC ધારાસભ્ય સસ્પેન્ડ:હુમાયુ કબીરે કહ્યું- મસ્જિદ ચોક્કસ બનશે; તૃણમૂલ અને ભાજપ સામે વિધાનસભા ચૂંટણી લડીશ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : અફઘાનિસ્તાન- 13 વર્ષના બાળક પાસે અપાવી મૃત્યુદંડની સજા:80 હજાર લોકો જોવા ઉમટી પડ્યા, દોષિતે બાળકના 13 સ્વજનોનો જીવ લીધો હતો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : રૂપિયો સતત બીજા દિવસે ઓલ ટાઈમ લો પર:ડોલર સામે 28 પૈસા ઘટીને 90.41 પર આવ્યો; સોનું અને ક્રૂડ ઓઇલ મોંઘા થશે, નિકાસકારોને ફાયદો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : સાઉથ આફ્રિકાનો ભારત સામે હાઈએસ્ટ રન ચેઝ:હોમગ્રાઉન્ડ પર કોહલીની 40મી સદી, રોહિતે 9 હજાર રન પૂરા કર્યા; ટોપ રેકોર્ડ્સ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : રામલલ્લાને રેશમી રજાઇ, કાનુડાને ઊનના મોજાં:શિયાળામાં અયોધ્યા-મથુરામાં ઠાકુરજીને ઠંડીથી બચાવવા મંદિરમાં સગડી સળગાવી, ભોગમાં ફેરફાર કરાયા વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે બિહારમાં રસગુલ્લા ઓછા પડતાં લગ્નમાં ખુરશીઓ ઊડી બિહારના ગયાજીમાં એક લગ્ન ત્યારે તૂટી ગયા, જ્યારે જમવાના સમયે રસગુલ્લા ઓછા પડ્યા. આ બાબતને લઈને જાનૈયાઓ અને કન્યા પક્ષ વચ્ચે મારામારી થઈ ગઈ. બંને પક્ષોએ એકબીજા પર ખુરશીઓ ફેંકી. આ દરમિયાન પ્લેટ અને ગ્લાસ પણ ફેંકાયા, જેમાં ઘણા લોકો ઘાયલ થયા. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. IPS ડાયરીઝ-4 : ‘બાળકીનો રેપ કરી બે કટકા કરી નાંખ્યાં’:હજારોના ટોળાંએ પોલીસને ઘેરી, IPS મકરંદ ચૌહાણ કહે, ‘મોડો પડ્યો હોત તો પોલીસને જીવતા સળગાવી નાખત’ 2. ભાસ્કર એક્સપ્લેનર : પુતિનના 60 વર્ષની ઉંમરે છૂટાછેડા, 31 વર્ષ નાની ગર્લફ્રેન્ડ:બાળકોને ભણાવવા માટે બ્રિટનથી ટીચર આવે છે; રશિયાના રાષ્ટ્રપતિનું સિક્રેટ ફેમિલી 3. ‘મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ બનવી નક્કી, હિંમત હોય તો તોડી પાડો’:મસ્જિદનું એલાન કરનારા હુમાયુ કોણ છે, BJPએ કહ્યું- અયોધ્યા જેવો હાલ થશે 4. આજનું એક્સપ્લેનર: ભારત પાસેથી કઈ 3 વસ્તુઓ ઈચ્છે છે રશિયા? શું પુતિન માટે ટ્રમ્પની નારાજગીનું જોખમ લેશે PM મોદી? 5. ગ્રાઉન્ડ રિપોર્ટ : ‘પતિ રશિયન સેનામાં ફસાયા, સરકાર પુતિન પાસેથી પાછા માગે’:44 ભારતીયો વોરઝોનમાં, પરિવાર પરેશાન; રશિયાના રાષ્ટ્રપતિના ભારત પ્રવાસથી આશા 6. 3 હજારમાં થતો ટેસ્ટ રૂ.15ની કિટ કરી આપશે:ભાવનગરનાં વૈજ્ઞાનિકોએ યુરિન ઇન્ફેક્શન ડિટેક્ટ કરતો સેટ બનાવ્યો, 2 દિવસના બદલે 9 કલાકમાં રિપોર્ટ મળશે 7. બ્લેકબોર્ડ: મારો નેશનલ ચેમ્પિયન દીકરો બાસ્કેટબોલના પોલથી દબાઈને મૃત્યુ પામ્યો:મને કહેતો- દુનિયા મને હાર્દિકના પપ્પા કહીને બોલાવશે, તંત્રની બેદરકારીથી દીકરો હવે હયાત નથી 8. પ્રેગ્નન્સી દરમિયાન આ 12 ફૂડથી સાવધાન!:આ સમયે જે ખાશો તે તમારું અને સંતાનનું ભવિષ્ય નક્કી કરશે; ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણો હેલ્ધી ડાયટ પ્લાન કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ:કર્ક જાતકોને આજે લેવાયેલો નિર્ણય નજીકના ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે; તુલા જાતકોએ જાહેર સ્થળે વાદ-વિવાદથી બચવું વાંચો સંપૂર્ણ રાશિફળ
વારસાની જાળવણી:ધરમપુરમાં રાજવી કાળનાં મંદિરના જીર્ણોધ્ધાર
ધરમપુરનાં મામલતદાર કચેરી હસ્તકનાં રાજા સમયનાં સહીત કુલ 13 મંદિર અને ટ્રસ્ટમાં જરૂરી સમારકામ માટે સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે. આ સર્વે માટે પ્રાંત અધિકારી ધરમપુરનાં માર્ગદર્શનમાં મામલતદાર કચેરીની ટીમની સાથે આરએન્ડબી સ્ટેટ ધરમપુરની સંયુક્ત ટીમ મંદિરોની વર્તમાન મજબૂતી, જરૂરી સમારકામનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી રહી છે. વહીવટી અને ટેકનિકલ ટીમનાં આ સંયુક્ત સર્વે બાદ સંપૂર્ણ દરખાસ્ત તૈયાર કરીને સરકારમાં રજૂ કરવામાં આવશે એવી માહિતી પ્રાપ્ત થઇ છે. ધરમપુર નગરની મધ્યમાં સ્થિત પૌરાણિક શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં ચોમાસામાં છતમાંથી ટપકી ભગવાનની મૂર્તિ પર ટપકતા પાણીને લઇ ગામનાં જાગૃત યુવા ઋષિત મસરાણી સહીત ભક્તોમાં મંદિર રીનોવેશનની ઉઠેલી માગ વચ્ચે ધરમપુરનાં 13 મંદિરનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સર્વે દરમ્યાન ભક્તો તથા ધર્મપ્રેમીઓ પાસેથી જરૂરી રજુઆત તથા સૂચન પણ લેવામાં આવશે એવી માહિતી મળી છે. ધરમપુરનાં આ 13 મંદિર પૈકી શ્રી રાધાકૃષ્ણ મંદિરનું કરોડો રૂપિયાનાં ખર્ચે જીર્ણોધ્ધાર સરકારે કર્યુ હતુ. તેમજ હાલે ધરમપુરનાં ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનાં જતન માટે મામલતદાર હસ્તકનાં મંદિરોનું સર્વે શરુ થયું છે. વર્ષોથી ધ્યાન અપાયું ન હતું હવે એક આશ બંધ્યા છે. હાલ મંદિરસરકાર હસ્તકશ્રી લક્ષ્મી નારાયણ મંદિર, શ્રી રાધાકૃષ્ણ મંદિર, શ્રી ગોરા રામજી મંદિર, વિજયા અગ્નિ મંદિર મનહરઘાટ, શ્રી દલેશ્વર મહાદેવ, વિમળેશ્વર મહાદેવ, સતીમાતા મંદિર, ઘુલી પ્લેસ, શ્રી મારૂતી મંદિર શેરીમાળ, શ્રી નિલકંઠેશ્વર મહાદેવ મંદિર, શ્રી બળીયાકાકા મહાદેવ મંદિર, શ્રી રાજરાજેશ્વર મંદિર, નાની વહિયાળ, શ્રી નર્મદેશ્વર,ધર્મેશ્વર , જતનેશ્વર મહાદેવ મંદિર અને સ્વ.રાજપૂતોની દેરી મનહરઘાટ, શ્રી હનુમાનજી અને મહાલક્ષ્મી મંદિર, શ્રી કાળા રામજી મંદિરઅને શ્રી મનહરકુંવરબા રામ મંદિર, વિરવલ
દુશ્મન રાષ્ટ્ર પાકિસ્તાન માટે જાસૂસી કરવાના પ્રકરણમાં એન્ટી ટેરિસ્ટ સ્કવોડે (એટીએસ) પહેલાં ગોવાથી નિવૃત્ત આર્મી સુબેદારને પકડ્યા બાદ દાદરા નગર હવેલીના તીઘરા ગામેથી એક મહિલાને ઉઠાવી હતી. આ બંને જણા ભારતીય સૈન્યના અતિસંવેદનશીલ ડોક્યુમેન્ટ અને વિગતો પાકિસ્તાનની ખૂફિયા એજન્સીને પહોંચાડતા હતા. સહુથી સુખદ આશ્ચર્યની બાબત એ છે કે આ રાષ્ટ્રવિરોધી તત્વોએ દસ્તાવેજો એડિટ કરવા માટે જે યુવકને નોકરીએ રાખ્યો હતો તેની સજાગતાથી જ દેશવિરોધી ખેલ ખૂલ્યો પડ્યો હતો. ગુજરાત એટીએસની ટીમે ગુરૂવારે દાનહના તીઘરા ગામે આવેલી શાંતીબેનની ચાલીમાં રહેતી રાશ્મની રવિન્દ્ર પાલની પણ ધરપકડ કરી હતી. એ પહેલાં ગોવાથી અજયકુમાર સુરેન્દ્રસિંહ (એ.કે.સિંગ) ને ઉઠાવ્યો હતો. પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સીના માણસો 'અંકિતા શર્મા' નામ ધારણ કરી નિવૃત્ત આર્મી સુબેદાર એવા ગોવાના અજયકુમાર સુરેન્દ્રસિંહ (એ.કે.સિંગ) સાથે તેમના દીમાપુર(નાગાલેન્ડ) પોસ્ટીંગ સમયે વર્ષ 2022માં સંપર્કમાં આવ્યા. જે બાદ PIO(પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવ્સ) દ્વારા અજયકુમાર પાસેથી આર્મીના યુનિટ, પોસ્ટિંગ, મૂવમેન્ટ વગેરે માહિતી માગવામાં આવતી હતી. જ્યારે મૂળ ઉત્તરપ્રદેશની અને હાલમાં સંઘપ્રદેશ દાનહનમાં તીઘરામાં રહેતી રાશમની રવિન્દ્ર પાલ ભારતીય જવાનોને હનીટ્રેપમાં ફસાવી પાકિસ્તાની હેન્ડલરો માટે મહત્વપૂર્ણ માધ્યમ તરીકે કામ કરતી હતી. PIO “અબ્દુલ સત્તાર અને ખાલીદ દ્વારા રાશમનીને નાણાકિય લાભના બદલામાં પ્રિયા ઠાકુર નામની ખોટી ઓળખ બનાવીને જે ભારતીય આર્મીના જવાનોની માહિતી સત્તાર અને ખાલીદ શેર કરે તેઓની સાથે મિત્રતા કરવા અને તેનાથી આર્મીની ખાનગી માહિતી મેળવવાની સુચના અપાઈ હતી. જે માટે સમયાંતરે રાશમનીને ભારતીય સેનાના જવાનોનું મોબાઈલ નંબરોનું લિસ્ટ મોકલતા હતા. આ બંનેની મૂરાદ બર આવે તે પહેલા એટીએસે તેમને ઝડપી લીધા હતા.સમગ્ર પ્રકરણ કેવી રીતે પ્રકાશમાં આવ્યું તે અંગે ભાસ્કર દ્વારા તપાસ કરવામાં આવી તેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જાસૂસી કાંડમાં ઝડપાયેલી મહિલા આરોપી રાશમની થોડા સમય અગાઉ ખેડા જિલ્લાના એક યુવકના સંપર્કમાં હતી. મહિલાએ યુવકને યુ-ટ્યુબ માટે વીડિયો એડિટિંગનું કામઆપવાની અને તેના બદલામાંમાસિક ₹20,000 પગારઆપવાની લાલચ આપી હતી. જેયુવકને જાસૂસીની જાળમાંફસાવવાનો એક ભાગ હતો. આષડયંત્રના ભાગરૂપે આરોપીરાશમાનીએ રાધિકા નામથીદિલ્હીથી યુવકને કૂરિયર મારફતેરાઉટર, ચાર્જિંગ કેબલ અને અન્યડિવાઇસ પણ મોકલ્યા હતા.મહિલા આરોપીએ યુવકનાલેપટોપમાં ભારતીય આર્મીનાસંવેદનશીલ ડોક્યુમેન્ટ્સ સેવકરાવ્યા હતા અને તેને ઝૂમકરાવીને જોયા હતા. આડોક્યુમેન્ટ્સ 23 નવેમ્બર2024થી 19 માર્ચ 2025 સુધીનાગાળામાં જુદી જુદી પાંચ વારમોકલ્યા હતા. જો કે, યુવકનેયુ-ટ્યુબ પર ફોટો- વીડિયોઅપલોડ કરવાનું કહી નોકરીએરાખ્યો હતો પરંતુ મહિલાએયુ-ટ્યૂબ પર અપલોડ ના કરતાંતેને શંકા ગઇ હતી અને સજાગયુવકે ગુજરાત એટીએસનો સંપર્કકરતા મહિલા જાસૂસની સમગ્રહકીકતનો પર્દાફાશ થયો છે. મહિલા સૈન્યની મૂવમેન્ટ અને યુદ્ધાભ્યાસની માહિતી પહોંચાડતી મહિલાએ સેનાની ગુપ્ત માહિતી માટે અમુક લોકોને ફસાવવાની કામગીરી કરી હતી. હેન્ડલરોએ રાશમનીને આર્મીની અમુક યુનિટ્સની યુધ્ધ અભ્યાસ અને મુવમેંટ અંગે ખાસ તપાસ કરવા જણાવેલું હતું. રાશમની સત્તારના પાકિસ્તાની નંબર(+92) સાથે સીધા સંપર્કમાં હતી. આંતરરાષ્ટ્રીય નંબરોથી વોટસએપ કોલ અને દસ્તાવેજો તથા નાણાકિય વ્યવહારોની વિગતો મોબાઈલમાંથી મળી છે. ચકાસણી કરતા “અંકિતા શર્મા ઉર્ફે રાધિકા” મુલતાન અને સરગોધા, પાકિસ્તાન ખાતેથી, “અબ્દુલ સત્તાર” લાહોર, પાકિસ્તાન ખાતેથી અને “ખાલીદ” VPN અને મલેશિયન ઉપયોગ કરતા હતાં. મામા પાસેથી 30 હજાર પડાવ્યા ઉત્તરપ્રદેશમાં રહેતા મારા મામા કે જેઓ અપરિણિત છે, એમને સોશિયલ મીડિયામાં ફસાવ્યો હતો. મિત્રતા કેળવીને અમુક ડોલર મોકલાવું છું કહીને 30 હજાર રૂપિયા પડાવી લીધા હતા. જોકે, મામાને પાછળથી ખ્યાલ આવ્યો કે જે વિદેશી યુવતીના નામે સોશિયલ મીડિયામાં ચેટિંગ કરે છે એ ઓરિજનલમાં તો રાધા છે. > વિનોદ યાદવ, પડોશી મહિલાને ચાર માસનો પુત્ર છેલ્લા એક વર્ષથી તેઓ મારી રૂમ ઉપર ભાડેથી રહેવા આવ્યા હતા. પતિ-પત્ની સાવ સામાન્ય દંપતીની જેમ જ જીવન જીવતા હતા. પતિ કંપનીમાં નોકરી કરે છે, પોલીસ આવીને આખા પરિવારને લઇ ગઇ છે. જે મહિલાની ધરપકડ થઇ પોતાનું નામ રાધા કહ્યું હતું. મહિલાને ચાર માસનું બાળક પણ છે.> રમણભાઇ પટેલ, રૂમ માલિક સેલવાસમાં રાધા બનીમહિલાએ અનેકને છેતર્યાપાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી માટે જાસૂસી કરનારીમહિલાની એટીએએસે ધરપકડ કર્યા બાદ જ્યારેભાસ્કરની ટીમ તીધરા ગામે મહિલા જાસૂસના ઘરેપહોંચી ત્યારે ચોંકાવનારી માહિતી મળી હતી. અહિંરાશમનીને અડોશ પડોશમાં રહેતા લોકો રાધા નામથીઓળખતા. આ મહિલા પડોશીના અને તેમના સંબંધીનાયેનકેન પ્રકારે નંબરો મેળવતી હતી અથવા તો પૂરીમાહિતી મેળવતી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયામાંવિદેશી યુવતી હોવાની ઓળખ આપીને મિત્રતા કેળવતીહતી. થોડા સમય સુધી વાત કે ચેટ કર્યા પછી વિશ્વાસસંપાદન કરતી અને વિદેશથી મોંધો મોબાઇલ ફોન ગિફ્ટકરવા માંગુ છું અથવા તો અમૂક ડોલર ખર્ચ કરવા માટેમોકલાવું છું એમ કહીને જાળમાં ફસાવતી હતી. જોકે,મહિલા ક્યારે પણ ઓનલાઇન કેમેરાની સામે વાતકરવાનું ટાળતી હતી. મોબાઇલ કે ડોલર કસ્ટમ ડ્યુટીઅથવા પોલીસ વેરિફિકેશનમાં અટકી ગયો હોવાનુંજણાવી છોડાવવા માટે રૂપિયાની માગણી કરતી રૂપિયાતે એરટેલ પેમેન્ટ બેંકમાં ટ્રાન્સર્ફર કરાવતી હતી.
મંદિરમાં ચોરી:ગાંભુના અંબાજી મંદિરમાંથી 8 હજારના દાગીના ચોરાયા
બહુચરાજીના ગાંભુ ગામે આવેલા અંબાજી મંદિરના મુખ્ય દરવાજાનું નકુચો તોડી અજાણ્યા ચોરોએ મંદિરમાં પ્રવેશ કરીને માતાજીના માથાનો ચાંદીનો મુગટ, ચાંદીનો હાર, એક જોડી ચાંદીની બુટ્ટી, ચાંદીના છત્તર સહિત એક કિલો ચાંદી જેની કુલ કિંમત 8000 જેટલી થાય તેની ચોરી કરી ગયા હતા. 2 ડિસેમ્બરના રોજ સવારે મંદિરમાં પૂજા કરવા ગયેલા પૂજારીને ખબર પડતા તેમણે ગામના આગેવાનને વાત કરતા ભીખાભાઈ પટેલે મોઢેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
કહેવત છે કે સંઘર્ષથી સમયને બદલી શકાય છે. સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામના એક ગરીબ રબારી પરિવારમાં આજે ખુશીનો માહોલ છે, જ્યાં અપંગ પિતાની ડેરીની નોકરી છૂટી જતા લાચારી જોઈને તેમના દિકરા-દીકરીએ હવે સરકારી નોકરી લેવાનું લીધેલું વચન 5 વર્ષના અંતે પૂર્ણ થયું છે. નાગજીભાઈ રબારીના પુત્ર માવજીભાઈ અને પુત્રી આશાબેનનું એકસાથે ગુજરાત પોલીસમાં સિલેક્શન થયું છે, જેના કારણે પરિવારમાં આનંદો છવાયો છે. મોટા નાયતા ગામમાં ગરીબ પરિવારના નાગજીભાઈ રબારી અપંગ હોવા છતાં માંડ-માંડ ઘર ચલાવવા ગામની દૂધ ડેરીમાં મંત્રી તરીકે નોકરી કરતા હતા. પરંતુ, 2020માં તેમની નોકરી છૂટી જતાં આખા પરિવાર પર આર્થિક સંકટ ઊભું થયું. પિતાની આંખોમાં ચિંતા અને માતાનો ઘર ચલાવવાનો સંઘર્ષ જોઈને દીકરા માવજીભાઈનું હૃદય પીગળી ગયું. તેમણે પિતાને સ્પષ્ટ કહ્યું કે, “પપ્પા, હવે તમે કોઈ ખાનગી નોકરીની ચિંતા ન કરો. હું અને આશા (બહેન) સરકારી નોકરી મેળવીને જ તમારું સપનું પૂરું કરીશું. વર્ષ 2021 થી જ ભાઈ બહેને ગામ નજીક. મેલુસણ ગામની લાઇબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ સાથે ગામના ખુલ્લા રોડ ઉપર દોડી મેદાન પાસ કરવા તનતોડ તૈયારીઓ શરૂ કરી હતી. પ્રથમ પ્રયાસમાં બન્નેને નજીવી માર્ક્સ ઓછા આવતા નિષ્ફળતાઓ મળી પરતું હિંમત ન તોડાવી શકી અને આ વચન પૂરું કરવા માટે ભાઈ-બહેને દિવસ-રાત એક કરી દીધા. બન્ને સાથે માતાને ખેતીકામ અને ઘરકામમાં મદદ કરીને અભ્યાસ કરતા હતા વર્ષ 2021થી શરૂ થયેલા સંઘર્ષમાં તેમને ઘણી નિષ્ફળતા મળી હતી.અંતે આકરી મહેનત રંગ લાવી અને વર્ષ 2025માં બંને ભાઈ-બહેનનું ગુજરાત પોલીસમાં એકસાથે સિલેક્શન થયું. લાઇબ્રેરીમાં વાંચ્યું રોડ ઉપર દોડીને પ્રેક્ટિસ કરતાભાઈ માવજીભાઈ સંઘર્ષની કહાની વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 2022ની પોલીસ ભરતીમાં માત્ર 0.47 માર્ક્સ અને ક્લાર્કમાં 1 માર્ક્સથી રહી ગયો હતો.મારી બહેન આશાબે SSC GD અને ફોરેસ્ટની પરીક્ષામાં માત્ર 0.50 માર્ક્સથી મેરીટમાં આવતા ચૂકી ગઈ હતી. ઘરમાં અપંગ પિતા અને એકલવાયા માતાનો વિચાર કરીને બંનેએ નક્કી કર્યું કે હવે હારવું નથી.મેલુસણ લાઈબ્રેરીમાં વાંચન કરી રોડ પર સાથે દોડીને શારીરિક તૈયારી કરી છે.
મનપાની ચેતવણી:મહેસાણામાં 3736 મિલકતદારો 15 દિવસમાં વેરો નહીં ભરાય તો મનપા જપ્તી વોરંટ કાઢશે
મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં રૂ. 5,000થી વધુ મિલકત વેરો બાકી રાખનારા મિલકતદારો સામે મનપાએ કડક પગલાં શરૂ કર્યા છે. વોર્ડવાઇઝ બાકીદારોની યાદી તૈયાર કરીને અત્યાર સુધી વેરા વોર્ડ પૈકી 7 વોર્ડ ના કુલ 3736 મિલકતદારોને 15 દિવસની અંદર વેરો ભરવા અલ્ટિમેટમ આપતી માંગણા નોટિસ ફટકારી છે. જેમાં મ્યુ.કમિશનરને ખાતરી થાય તેવું રકમ ન ભરવા માટેનું પૂરતું કારણ દર્શાવવામાં ન આવે તો રકમ ખર્ચ સાથે વસુલ કરવા માટે મિલકત ટાંચ કે જપ્તી વોરંટ કાઢવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે. જૂના પાલિકા હદ વિસ્તારમાં કુલ 1.08 લાખ મિલકતદારો છે, જેમાંથી 67 હજાર લોકોએ વેરો ભર્યો છે, જ્યારે હજી 41 હજાર મિલકતદારો વેરા બાકી છે. અત્યાર સુધી ચાલુ અને પાછલા વર્ષો મળીને મનપાને કુલ રૂ.14 કરોડ વેરા આવક પ્રાપ્ત થઈ છે. 30 દિવસમાં વેરો ભર્યો તો 10 ટકા રાહત મનપાના વેરા માંગણા બિલ તારીખથી 30 દિવસમાં વેરાની રકમ ભરતા મિલકતદારોને વાર્ષિક મિલકત વેરાની રકમ માં 10 ટકા રિબેટ લાભ એટલે કે રાહત મળશે. જ્યારે આ 30 દિવસ પછી 60 દિવસ સુધીમાં વેરો ભર્યો તો બીલમાં રકમ દર્શાવી છે એ તમામ ભરપાઈ કરવાની રહેશે, તેમાં રિબેટ લાભ નહી મળે. જ્યારે માંગણા બિલ તારીખથી 90 દિવસ પછી વેરો ભર્યો તો વેરા રકમમાં 18 ટકા પેનલ્ટી સાથે ભરવી પડશે.
વીજ થાંભલો થયો ધરાશાયી:રાધનપુર રોડ પર ઝાડ વીજલાઇન પર પડતાં થાંભલો કાર પર પડ્યો
મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલા શક્તિધારા સોસાયટીના રોડ બાજુનું મોટું વૃક્ષ ગુરુવારે ધરાશાયી થયું હતું. સવારે લગભગ 11 વાગ્યે ઘટેલી આ ઘટનામાં વૃક્ષ સીધું વીજ લાઈન પર પડતાં પોલ જમીનદોસ્ત થયો હતો. પોલ સાથે પડેલા વૃક્ષે નજીક પાર્ક કરેલી જીજે 02 સીપી 1085 નંબરની કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ઘટના બાદ આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરી હતી. થોડોક સમય ટ્રાફિકમાં અવરજવર ખોરવાઈ હતી; હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.
અકસ્માતનો ભય તોળાયો:રામોસણા ઓવરબ્રિજમાં ગુરુદ્વારા તરફ સેફ્ટી ગાર્ડ 4 દિવસથી તૂટેલી હાલતમાં
મહેસાણામાં રામોસણા ઓવરબ્રિજનું રામોસણા ચોકડીથી ગુરુદ્વારા તરફ ઉતરતા બ્રિજ સાઇડમાં સેફ્ટી ગાર્ડ છેલ્લા ચાર દિવસથી તૂટેલી હાલતમાં છે અને સર્વિસ રોડની ફૂટપાથ પર પડી રહ્યું છે. બ્રિજ ઉતરતા એપ્રોચ સાઈડ વાહન ચાલકો માટે સંરક્ષણ માટે આ એન્ગલ તૂટેલી પડી છે. જેના લીધે વાહનચાલકો સાઇડમાં એન્ગલના અભાવે ગુરુદ્વારા સાઈડ રોડ સમજી નીચે ખાબકી પડે તેવું જોખમ સર્જાઇ શકે છે. વાહનચાલક અલ્પેશભાઇ પટેલે કહ્યું કે, ચાર દિવસથી આ સેફ્ટી ગાર્ડ તૂટેલો પડ્યો છે પણ હજુ સુધી ફુટપાથથી ઉપાડીને ફરી બ્રિજ સાઇડ ફીટ કરવામાં આવ્યો નથી,જેના લીધે બ્રિજ ઉતરતા વાહનચાલકો માટે આ જગ્યા ખુલ્લી હોવાથી અકસ્માતનો ભય તોળાઇ રહ્યો છે. ત્યારે સત્વરે તંત્રએ ઓવરબ્રિજ સાઇડ તૂટેલ સેફ્ટી ગાર્ડની મરામત કરીને ફરી ફીટ કરવો જરૂરી છે.
જિલ્લા શિક્ષણાધિકારીનો શાળાઓને આદેશ:શાળાઓમાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારના ગરમ કપડાંની છૂટ
શિયાળાની ઋતુ શરૂ થઇ છે ત્યારે સવારની શાળાઓમાં પવનના સુસવાટા વચ્ચે ઘરેથી શાળાએ જતા વિદ્યાર્થીઓ ગરમ કપડા પહેરીને શાળાએ જવા લાગ્યા છે. આ દરમિયાન શાળા વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારના જ કે રંગના ગરમ કપડા પહેરવાની ફરજ પાડી શકશે નહીં અને વિદ્યાર્થીઓ અનુકુળતા પ્રમાણે ગરમ કપડા પહેરી શાળાએ જઈ શકશે તેવી છૂટછાટ અંગે શાળાઓને મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી બી.એન.પટેલે આદેશ કર્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓને જણાવાયું છે કે શિયાળાની ઠંડી વધતા વિદ્યાર્થીઓને પોતાની સુવિધા મુજબ કોઈપણ પ્રકારના ગરમ કપડાં પહેરીને શાળામાં આવવાની છૂટ આપવામાં આવે. શિયાળાની ઋતુ દરમિયાન ઠંડા પવનની અસર વધી રહી છે,જેના કારણે નાના વિદ્યાર્થીઓના આરોગ્ય પર અસર ન પડે તે માટે આ છુટછાટનો અમલ કરવો. કોઈપણ શાળા વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારના કે રંગના ગરમ કપડા પહેરવાની ફરજ પાડી શકશે નહી. ઘરેથી ઉપલબ્ધ જે કપડાં તેમને ગરમ રાખે તે પહેરી આવતા વિદ્યાર્થીઓને શાળા પૂર્ણ માન્યતા આપશે. છેલ્લાં વર્ષોમાં ઠંડીના કારણે અનેક વખત વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અગ્રિમ આયોજન સાથે આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓ તથા વાલીઓ રાહત અનુભવો થશે એવી આશા વ્યક્ત કરાઇ છે.
SOGની ટીમ દ્વારા કાર્યવાહી:સીમકાર્ડ વેચાણના ગ્રાહકના પુરાવા ન રાખતાં ગુનો નોંધાયો
ઓળખના ડોક્યુમેન્ટ વિના બોગસ સીમ કાર્ડ ઈશ્યુ ન થાય અને તે સીમકાર્ડનો ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગ ન થાય તેની તકેદારીના ભાગરૂપે મહેસાણા એસઓજીની ટીમે સીમકાર્ડનું વેચાણ કરતી દુકાનોમાં મહેસાણાના પરા ટાવર પાસે રસ્તાની બાજુમાં સીમકાર્ડ વેચાણનો સ્ટોર બનાવેલ હોય તે સ્ટોલમાં સીમકાર્ડ વેચાણ કરેલ ગ્રાહકોના આધાર પુરાવા ના રજીસ્ટરોમાં નોંધેલ વિગતોની માંગણી કરતા આવું કોઈ રજીસ્ટર તેમણે નિભાવ્યું ન હોવાનું બહાર આવ્યું હતું પોલીસે રોહિત શંકરજી ઠાકોર રહે. મેઘાલિયાસણા ઠાકોર વાસ તા.જિ. મહેસાણા સામે તેમજ અન્ય એક સીમકાર્ડ વેચાણનો સ્ટોર ધરાવતા મહર્ષ વિનોદભાઈ ગુપ્તા રહે.જનતા નગર સોસાયટી ગંજ બજાર સામે મહેસાણા બંને વેપારીઓ સામે ગુનો દાખલ કર્યો છે.
મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ બાહુબલી સહિત પાંચ સોસાયટીને દર ચોમાસામાં વરસાદી પાણી ભરાઇ રહેવાની સમસ્યા સતાવતી હતી. આ અંગે વારંવાર રજૂઆતો બાદ આખરે મહાનગરપાલિકા તંત્ર વ્હારે આવ્યું અને બાહુબલી સોસાયટીના કોમન પ્લોટથી હાઇવે સુધી અંડરગ્રાઉન્ડ વરસાદી પાણી નિકાલની પાઇપલાઇન નાખવાની કામગીરી ખાતમુહૂર્ત સાથે શરૂ કરવામાં આવી છે. આગામી ચોમાસામાં હવે વરસાદી પાણી નિકાલ થવાની વ્યવસ્થા ઉપલબ્ધ બનશે એટલે રહીશોએ રાહતનો દમ લીધો છે. તાજેતરમાં મનપા દ્વારા શહેરના વોર્ડમાં પમ્પીંગ સ્ટેશન, દેત્રોજપુરા નવીન ટ્યુબવેલ, રાધનપુર રોડ બાહુબલી સોસાયટીમાં વરસાદી લાઇન સહિતના કુલ રૂ. નવ કરોડના કામોનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ સાથે કામગીરીનો પ્રારંભ કરાયો છે.બાહુબલી સોસાયટીના કૈલાશપુરી ગોસ્વામીએ કહ્યું કે, છેલ્લા 25 વર્ષ કરતાં વધુ સમયથી દર ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ રહેતા હતા. બાહુબલી, સાર્થક, સૈારભ વિલા, કનક પાર્ક અને સિધ્ધરાજ સોસાયટીને આ સમસ્યા વધુ રહેતી હતી હવે વરસાદી લાઇન પછી ચોમાસામાં 300 પરિવારોને રાહત મળશે. મેઇન રોડ તરફ મળીને કુલ 18 સોસાયટી આવેલી છે. બાહુબલી સોસાયટીના કોમન પ્લોટ થી મેઇન રોડ સુધી હવે વરસાદી લાઇન નંખાશે એટલે ચોમાસામાં પાણી નિકાલ શક્ય બનશે. હવે સ્વેચ્છાએ દબાણ દૂર કરવા અનુરોધ કરાયોબાહુબલી સોસાયટીથી રાધનપુર રોડ મેઇન રસ્તા સુધી આવતા વચ્ચેનો રસ્તો સાંકડો હોઇ એમ્બ્યુલન્સ કે ફાયર જેવા વાહન પણ પસાર થવું મુશ્કેલ છે. ત્યારે વરસાદી લાઇનના ખાતમુહૂર્ત પ્રસંગ વખતે ધારાસભ્ય મહેશભાઈ પટેલે રસ્તામાં આવતા દબાણ સ્વેચ્છાએ હટાવી રોડ ખુલ્લો કરવા અનુરોધ કર્યો હતો, જેથી ભવિષ્યમાં નવીન રોડનું આયોજન સારી રીતે થઇ શકે.
રોડના કામો અટવાયા:ખેરાલુ પાલિકામાં આંતરિક વિખવાદમાં રૂ. 1.20 કરોડના રોડના કામો અટવાયા
ખેરાલુ નગરપાલિકામાં નગરસેવકો વચ્ચેના આંતરિક મતભેદો અને વૈચારિક ગૂંચવાડાનો ભોગ નગરજનો બની રહ્યા છે. પાલિકામાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણમાં ચાલુ વર્ષે એક પણ તૂટેલા માર્ગનું નવું કામ શરૂ થઈ શક્યું નથી. ત્યારે ચીફ ઓફિસરે પડતર પડેલું એક ટેન્ડર કોંગ્રેસના નગરસેવકોની હાજરીમાં ખોલી નાખતા ખેરાલુ પાલિકામાં રમાતું રાજકારણ બહાર આવ્યું છે. વર્ષ 2024-25 અને 2025-26 માટે નગર અને પરા વિસ્તારને જોડતા રસ્તાઓના રિસર્ફેસિંગ માટે કુલ રૂ. 1.20 કરોડ (વર્ષે 60 લાખ)ની ગ્રાન્ટ છેલ્લા છ મહિનાથી વણ વપરાયેલી પડી છે. આ કામ માટે પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા હતા. પ્રથમ પ્રયાસમાં કોઈ એજન્સી ન આવતા, બીજા પ્રયાસમાં ધોરમનાથ નામની એજન્સીએ ટેન્ડર ભર્યું હતું. જોકે, પાલિકાના સત્તાધીશોએ આ ટેન્ડર ખોલ્યું ન હતું. તેના બદલે, જનરલ બોર્ડમાં ઠરાવ કરીને આ કામ પાલિકાની રૂટિન કામગીરી કરતી વાર્ષિક કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીને એસ.ઓ.આર. રેટ મુજબ સોંપવા ઠરાવ કર્યો હતો. આ નિર્ણય સામે કોંગ્રેસ સહિત કેટલાક નગરસેવકે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે ચીફ ઓફિસરથી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી કે ભરાયેલું જૂનું ટેન્ડર ખોલવામાં આવે. આ રજૂઆતને ધ્યાને લઈ ચીફ ઓફિસરે પોતાની સત્તાની રૂએ કોંગ્રેસના નગરસેવકોની હાજરીમાં તે સીલબંધ ટેન્ડર ખોલી નાખ્યું હતું. સત્તાપક્ષનું કહેવું છે કે અગાઉ કામ શરૂ ન કરવાને કારણે જે-તે એજન્સીને પડતી મૂકવામાં આવી હતી.
વેધર રિપોર્ટ:પૂર્વના પવનથી ભેજ વધ્યું, ગરમીનો પારો 30 ડિગ્રી નીચે
ઉત્તર ગુજરાતમાં ગુરુવારે પ્રતિ કલાકે સરેરાશ 7 કિલોમીટરની ઝડપે પૂર્વ દિશાનો પવન ફૂંકાયો હતો. જેને લઇ વહેલી સવારે ભેજનું પ્રમાણ 70%એ અકબંધ રહેતાં ઠંડીનો પારો 15.4થી 16 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. 16 ડિગ્રીથી નીચા તાપમાનને કારણે સવારે ધ્રુજાવતી ઠંડી અનુભવાઇ હતી. બપોરે ભેજનું પ્રમાણ વધીને 45%એ પહોંચ્યું હતું. જેને લઇ દિવસનું તાપમાન સવા ડિગ્રીના ઘટાડા સાથે 30 ડિગ્રીથી નીચે રહ્યું હતું. સૂર્યાસ્ત સાથે વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ ફરી વધ્યું હતું. હવામાન વિભાગની ઠંડીની આ સ્થિતિ આજે પણ યથાવત રહેવાની શક્યતા છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:નાગલપુર ઓવરબ્રિજના કામમાં સર્વિસ રોડ સાઇડ દબાણ દૂર ન થતાં રસ્તામાં પાર્કિંગ
મહેસાણા શહેરના નાગલપુર હાઇવે ઉપર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી હોઈ વાહન ટ્રાફિક બન્ને સર્વિસ રોડ ડાયવર્ટ કરાયો છે. જેમાં નાગલપુર કોલેજથી પકવાન હોટલ સુધી જ સર્વિસ રોડ સાઇડ માર્જીનમાં કરાયેલ ઓટલા, બ્લોક, શેડના દબાણ મનપાએ તોડીને કામગીરી આટોપી લેવાઇ છે. જ્યારે સામે નાગલપુર ચોકડી થી સહયોગ, વિકાસ નગર પાટિયા ચોકડી તરફ ના રસ્તામાં વાહન ટ્રાફિકની મુશ્કેલી છતાં માર્જિનના દબાણો દૂર કરવાની તસ્દી તંત્ર દ્વારા ન લેવાઈ હોઇ એક ને ગોળ, બીજાને ખોળ જેવો ઘાટ સર્જાયો છે. નાગલપુર ચોકડીથી વિકાસ નગર પાટિયા સુધી રોડનો કેટલોક ભાગ ઓવરબ્રિજ કામ બેરીકેટ કરાયેલ છે. આવામાં મહેસાણાથી આરટીઓ તરફ સર્વિસ રોડથી જતા વાહનચાલકોનો સતત ઘસારો રહેતો રસ્તો સાંકડો પડી રહ્યો છે. વળી વાહન પાર્કિંગ અડધું સર્વિસ રોડ ઉપર જોવા મળી રહ્યુ છે. આવામાંથી વાહનચાલકોને પસાર થવામાં ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. 3 હોટલો, 4 શો રૂમ, બેંક સહિતના કોમ્પલેક્ષ આવેલા છે, શેડ અને ઊંચાઈમાં બ્લોકના લીધે ઘણા વાહન રોડ સાઇડ પાર્ક થઇ રહ્યા છે. પેરેડાઇઝ સહિત 20થી વધુ સોસાયટીને સ્પર્શતો મુખ્ય સર્વિસ રોડ હોઇ રહીશોનો પણ સતત આ રસ્તાનો ઉપયોગ છે. આવામાં મહેસાણાથી અમદાવાદ તરફ જતા વાહનચાલકો આ સર્વિસ રોડ થી પસાર થતા હોઇ અવાર નવાર ટ્રાફિક સમસ્યા પણ સર્જાતી હોય છે. નાગલપુર વિસ્તારના કેટલાક વેપારી સૂત્રોએ કહ્યું કે, મહાનગરપાલિકા તંત્રને માત્ર પકવાન હોટલ સુધી જ દુકાનો, કોમ્પલેક્ષ આગળ માર્જીનમાં દબાણ દેખાયા લાગે છે, સામેના છેડે માર્જીન બાંધકામમાં કેમ કાર્યવાહી નહી, જેને લઇને મનપા તંત્ર વ્હાલા દવાલાની નીતિ સામે સવાલો ખડા થયા છે. પશાભાઇ પેટ્રોલપંપ અને ગાયત્રી મંદિરના ખૂલ્લા કટમાં ક્રોસ કરતાં સાચવજોનાગલપુર હાઇવે ઓવરબ્રિજનું કામ ચાલુ હોઇ તંત્ર દ્વારા પશાભાઇ પેટ્રોલ પંપ તેમજ ગાયત્રી મંદિર સર્વિસ રોડથી હાઇવે ક્રોસ કરીને સામે સ્વામિનારાયણ મંદિર તરફ ના સર્વિસ રોડ વાહનચાલકોને અવરજવર માટે ડિવાઈડર કટ સુલભતા માટે ખુલ્લા કરાયેલા છે. જોકે સર્વિસ રોડથી હાઇવે ઓળંગતા અંડરપાસ અને હાઇવે બે તરફથી પણ વાહન આવતા હોય છે, આવામાં અકસ્માતનું જોખમ હોઇ હાઇવે કટ ઓળગતા સાચવવું જરૂરી છે, કારણ કે પોલીસ પોઇન્ટ મુકાયેલ નથી.
ઉત્તર પશ્ચિમ રેલવેના મદાર–પાલનપુર સેક્શનમાં સોમેસર–જવાલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 613 પર આરસીસી બોક્સ લોન્ચિંગને કારણે બ્લોક લેવામાં આવ્યો છે. જેને લઇ ઉત્તર ગુજરાતમાંથી પસાર થતી 9 ટ્રેનો આગામી 6 ડિસેમ્બર સુધી પ્રભાવીત થઇ છે. જેમાં 2 ટ્રેનો રદ, 3 ટ્રેનો ડાયવર્ટ અને 4 ટ્રેનો નિયત સમય કરતાં 2 થી 6 કલાક સુધી મોડી ઉપડશે. આ 2 ટ્રેનો રદ 5 અને 6 ડિસેમ્બરે સાબરમતી–જોધપુર એક્સપ્રેસ (14822) , 4- 5 ડિસેમ્બરે જોધપુર–સાબરમતી એક્સપ્રેસ (14821) આ 4 ટ્રેનો મોડી આવશે
ડીસા આખોલ ચાર રસ્તા પાસે થરાદને જોડતા માર્ગને “વિકાસપથ” તરીકે વિકસાવવા માં આવશે. રાજ્ય સરકાર દ્વારા 6.50 કરોડના ખર્ચે રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે. આ માર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે જોડાયેલો હોવાથી ડીસા, ધાનેરા, લાખણી, થરાદ, વાવ અને દિયોદર તાલુકા મથકોને જોડતો મહત્વનો રસ્તો છે. ખાસ કરીને ડીસા–આખોલ ચાર રસ્તા વિસ્તારમાં રાજ્ય ધોરીમાર્ગ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગનું જોડાણ હોવાથી ભારે અને અતિભારે વાહનોના સતત અવરજવરથી ટ્રાફિકની સમસ્યા ઊભી રહે છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાથી મોટા ખાડા પડી જતા ટ્રાફિક જામ સામાન્ય બની જાય છે. પરિણામે અકસ્માતની ભીતિ પણ રહે છે.. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે વિકાસપથમાં બોક્સ ડ્રેઇન, સર્વિસ રોડ સાથે નવો રોડ બનાવવામાં આવશે. કામ પૂર્ણ થયા બાદ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થશે.
આજે માટી દિવસ:12.70 લાખ હે. જમીનમાંથી 7.54 લાખ હે.જમીન ખેતીયોગ્ય
જિલ્લામાં કુલ 12.70 લાખ હેકટર જમીનમાંથી લગભગ 7.54 લાખ હેકટર વિસ્તાર ખેતીયોગ્ય છે.જેમાં 6.02 લાખ હેકટર જમીનમાં ખેતી થાય છે, જેમાં અનાજ, તેલબીયા, કપાસ, ઘઉં અને ચારા પાક મુખ્ય છે. જિલ્લામાં 1.10 લાખ હેકટર જંગલ વિસ્તાર છે, જ્યારે 65 હજાર હેકટર બંજર અને 23 હજાર હેકટર પડતર જમીન છે. બહુપાક પ્રણાલીના કારણે જિલ્લામાં કુલ વાવેતર વિસ્તાર 11.56 લાખ હેકટર સુધી પહોંચે છે.જમીનની ફળદ્રુપતા ઘટવાનું મુખ્ય કારણ વધુ પડતા રાસાયણિક ખાતરો, ઓર્ગેનિક પદાર્થનો અભાવ, માટી ધોવાણ, સેન્દ્રીય કાર્બનની કમી અને અતિ સિંચાઈ છે. પરિણામે પાક ઉત્પાદન ઘટે છે, ખર્ચ વધે છે અને ખેડૂતોની આવક પર અસર થાય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ જમીન ચકાસણી, સેન્દ્રીય પદ્ધતિઓ, પાક ફેરબદલી, પાણી સંરક્ષણ અને પોષણ મેનેજમેન્ટ જેવી ટકાઉ પદ્ધતિઓ અપનાવવી જરૂરી છે.જિલ્લામાં છેલ્લા વર્ષોમાં જમીન વિકાસ, સિંચાઈ સુવિધા અને કુદરતી સંસાધનોના સંવર્ધન માટે પ્રોજેક્ટ્સ હાથ ધરાયા છે, 2050 સુધીમાં 30 ટકા ખેતીલાયક જમીનમાં નુકસાન થવાની ચેતવણીથરાદની બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીના જમીન વૈજ્ઞાનિક ડો.દિલીપ ચૌધરીએ જણાવ્યું હતું કે, જમીનને જીવંત રાખવી માત્ર ખેતી માટે નહીં પરંતુ માનવ આરોગ્ય અને ખોરાક સુરક્ષાના વૈશ્વિક હિત માટે આવશ્યક છે. જમીનની ગુણવત્તા અને ખેતીલાયક જમીનના ઘટાડાનો મુદ્દો વૈશ્વિક ચિંતાનો વિષય બન્યો છે. વૈજ્ઞાનિકોના અનુમાન મુજબ 2050 સુધીમાં વિશ્વની 30 ટકા જેટલી ખેતીલાયક જમીન નષ્ટ થવાની શક્યતા છે, જે ખોરાક સુરક્ષા અને આબોહવા સંતુલન માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે. બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીથી મળેલ લાભ થરાદ તાલુકાના નાની પાવડ ગામના ખેડૂત હરસેંગભાઈ માધાભાઈ પટેલે તેમની જમીનની તપાસ બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં કરાવી હતી. લેબોરેટરી ટીમ દ્વારા આપવામાં આવેલી વૈજ્ઞાનિક ભલામણોના આધારે તેમણે ખાતરનો ઉપયોગ માત્ર જરૂરી અને યોગ્ય પ્રમાણમાં કરવાનું શરૂ કર્યું, જેના કારણે પ્રતિ એકર રૂ. 4,000થી 5,000 જેટલો અર્થસહાય બચાવ થયો હતો.
ખેતરો તળાવમાં ફેરવાયા:નવી બનેલી ઈઢાટા–ઢીમા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં15 જ દિવસમાં ભંગાણ
સરહદી વાવ–થરાદ જિલ્લામાં કેનાલ તૂટવાના સતત બનાવોથી ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે અને સિંચાઈ વિભાગની ખામીઓ ફરી એકવાર બહાર આવી છે. ત્યારે નવી બનેલી ઈઢાટા–ઢીમા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં 15 જ દિવસમાં ભંગાણ થતાં ખેડૂતોમાં ભારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. વાવ–થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના પ્રતાપપુરા ગામની સીમમાં આવેલી ઈઢાટા–ઢીમા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ફરી એકવાર મોટું ભંગાણ સર્જાતા આજુબાજુના ખેડૂતોના ખેતરો તળાવમાં ફેરવાયા છે. બે મહિના અગાઉ આવેલા પૂર દરમિયાન આ કેનાલ તૂટી ગઈ હતી. ત્યારબાદ તંત્ર દ્વારા નવેસર બનાવેલ આ કેનાલને પાણી છોડ્યા બાદ માત્ર 15 દિવસ પણ પૂરાં થયા નથી અને કેનાલ ફરી તૂટી જતાં ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદા વિભાગના કેટલાક જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ આચરી હલકી કક્ષાનું મટિરિયલ વાપરી માત્ર દેખાવ પૂરતું કામ કરવામાં આવ્યું હતું. તેથી જ એક મહિનાની અંદર નવી બનેલી કેનાલમાં ફરીથી ભંગાણ થયું છે. ખેડૂતોનો પ્રશ્ન એ છે કે સરકારના રુપિયાનું એંધાણ કરવા છતાં જવાબદાર લોકો સામે કાર્યવાહી કેમ થતી નથી? આ બાબતે નાયબ કાર્યપાલક ઈજનેર અજયભાઈ હઠીલાને સંપર્ક કરતા તેમણે સ્વીકાર્યું હતું કે કેનાલમાં અગાઉ પૂરના કારણે નુકસાન થયું હતું અને એક મહિના પહેલા જ પુનઃનિર્માણ કરવામાં આવી હતી. પરંતુ પાણીના ઓવરફ્લોના કારણે ફરી તૂટી ગઈ હોવાનું જણાવ્યું. રડોસણ કેનાલમાં 10ફૂટનું ગાબડું પડ્યુંનવી બનેલી ઈઢાટા–ઢીમા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ભંગાણ પડ્યું હતું. રાણાજી વેંજીયા રડોસણ કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું સુઈગામ તાલુકાના રડોસણ માયનોર-4 કેનાલમાં બુધવારે બપોરે 10 ફૂટથી વધુનું ગાબડું પડતાં નર્મદાનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું. તાજેતરમાં જ વાવેતર કરનાર ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થતા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, બીજ જમીનમાંથી બહાર આવે તે પહેલાં જ ખેતરો પાણીથી છલકાતા વાવેલા બીજ સડી જવાની શક્યતા ઊભી થઈ છે.તેઓએ નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીને આ ઘટના માટે જવાબદાર ઠેરવી છે.
માગશરી પૂનમના પાવન પર્વ નિમિત્તે શક્તિધામ અંબાજી ખાતે અઢળક શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી. વહેલી પરોઢેથી જ માતા અંબાની મંગળા આરતીના દર્શન માટે નિત્ય પુનમિયા સહિત યાત્રિકોની લાંબી કતારો જોવા મળી હતી.પૂનમના દિવસે વધતી ભીડને ધ્યાનમાં રાખી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ દર્શન વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. મુખ્ય મંદિરને આકર્ષક શૃંગારથી સુશોભિત કરવામાં આવ્યું હતું. આ તરફ, દર્શનાર્થીઓ અને પદયાત્રીઓના “જય અંબે, જય અંબે”ના જયનાદથી સમગ્ર અંબાજી મંદિર પરિસર ગુંજ્યો હતો. મા અંબાના દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ શક્તિપીઠ ગબ્બર પર સ્થિત માતા શક્તીની અખંડ જ્યોતિના દર્શન ચૂકતા નથી. પરિણામે ગબ્બર પર પણ નોંધપાત્ર ભીડ જોવા મળી હતી.
પ્રસૂતાનું કરૂણ મોત:સાતમી બાળકી અવતરતાં આઘાતમાં માતાનું હ્દય બેસી જતાં મોત નીપજ્યું
ભાસ્કર ન્યૂઝ।પાલનપુર પાલનપુર તાલુકાના ચિત્રાસણી પી. એચ.સી.માં બુધવારે રાત્રે અમીરગઢ તાલુકાના ધનપુરા ગામની પ્રસૂતાને લાવવામાં આવી હતી. જ્યાં બાળકીને જન્મ આપ્યા પછી મહિલાનું મોત થયું હતુ.સાતમી બાળકી જન્મતાં આઘાતમાં માતાનું હ્દય બેસી જતાં મોત થયાનું બહાર આવ્યું છે. પાલનપુર તાલુકાના ચિત્રાસણી સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બુધવારે રાત્રે અમીરગઢ તાલુકાના ધનપુરા (વીરમગામ)ના સવિતાબેન દિતાભાઇ ડાભી (ઉ.વ.40)ને પ્રસૂતિ માટે લવાયા હતા. જ્યાં મોડીરાત્રે નોર્મલ ડિલેવરી થતાં પુત્રીને જન્મ આપ્યો હતો. જોકે, તે પછી વહેલી સવારે સવિતાબેનનું મોત થયું હતુ. જેમના મૃતદેહને પીએમ રૂમમાં રખાયો હતો. દરમિયાન ગુરૂવારે સાંજે મૃતક સવિતાબેનના સાસરીપક્ષ અને પિયરપક્ષના લોકો એકત્ર થયા હતા. તેમણે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની ના પાડી હતી. આથી પી.એમ. કર્યા વિના જ મૃતદેહ પરિવારજનોને પરત અપાયો હતો. આઘાતથી મોત થયું છે : તબીબમહિલાને 108 દ્વારા રાત્રે 1.00 કલાકની આસપાસ લવાયા હતા. જે પછી રાત્રે સવા બે કલાક આસપાસ નોર્મલ ડિલેવરી થઇ હતી. તંદુરસ્ત પુત્રીને જન્મ આપ્યો હતો. નોર્મલ પ્રસૂતી થયા પછી મહિલા ચાલીને રૂમમાં ગઇ હતી. જોકે, રાત્રે પોણા ત્રણ વાગ્યાની આસપાસ મોત થયું હતુ. આ સાતમી પ્રસૂતી હતી. પ્રસૂતી પછી બ્લડ પ્રેશર, ધબકારા નોર્મલ હતા. જોકે વહેલી સવારે માનસિક આઘાતથી હ્દય બેસી જતાં મોત થયું હતુ.ડો. નિલ સોલંકી ( મેડીકલ ઓફિસર, ચિત્રાસણી પી.એચ.સી.) સાત દીકરી ઉપર દીકરાની રાહ જોતા હતા પરિવારમાં છ દીકરીઓ અવતરી હતી. સાતમી વખતે દીકરાની આશા હતી. પરંતુ તે પણ દીકરી જ જન્મી હતી. જોકે, મારી પત્નીનું નિધન થયું છે. આ અંગે આરોગ્ય વિભાગ કે પોલીસ મથકે કોઇ ફરિયાદ કે રજુઆત કરી નથી.: દિતાભાઇ ડાભી (મૃતકના પતિ)
વઢવાણમાં ભર શિયાળે ચોમાસુ માહોલ:શિયાણીપોળ દરવાજે ગંદા પાણીની રેલમછેલ
વઢવાણ શહેરમાં ભૂગર્ભ ગટર પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. વઢવાણમાં સુવિધાને બદલે દુવિધા વધી છે. વઢવાણ નગરના પ્રવેશદ્વાર શિયાણી દરવાજો ગણાય છે. આ સ્થળે શાકમાર્કેટ, પાંજરાપોળ અને હાઇવે પસાર થાય છે. ત્યારે શિયાણીપોળ દરવાજા બહાર ભરશિયાળે ચોમાસાનો માહોલ સર્જાયો છે. આ રસ્તા પર ગંદા પાણી ફરી વળ્યા છે. આ અંગે ભાવેશભાઈ ચૌહાણ, દલવાડી રમેશભાઇ, દિલીપભાઈ વગેરેએ જણાવ્યું કે, આ રસ્તા પર ગટરોના ગંદા પાણી વારંવાર વહે છે. આથી વેપારીઓના ધંધાને અસર થાય છે. જ્યારે શાકભાજી લેવા આવતી ગૃહિણીઓના કપડા પણ ગંદા પાણીના કારણે ખરાબ થાય છે.
નબળી કામગીરી:4 ગામોને જોડતો 3 કિમીના રસ્તા પર ખાડા, મોટાભાગનો ડામર તૂટ્યો
ચુડાના ઝોબાળા અને કરમડ ગામો વચ્ચેનો રોડ બિસમાર બની ગયો છે. 4 ગામોને જોડતા માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે. મોટાભાગનો ડામર તૂટી ગયો છે. ચુડા તાલુકાના કરમડથી ઝોબાળા જતો માર્ગ ચીંથરેહાલ બની ગયો છે. ગ્રામજનોએ હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે છલાળા, બલાળા સહિત 4 ગામોને જોડતા માર્ગ ઉપર ભારે વાહનો ચાલવાને કારણે ઠેરઠેર મસમોટા ખાડા પડી ગયા છે. સીમમાંથી પસાર થતા માર્ગમાં ખેતરોનું પાણી પણ આવે છે. મોટાભાગનો ડામર તૂટી ગયો છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ રસ્તાનું તાત્કાલિક ધોરણે સમારકામ કે નવિનીકરણ હાથ ધરવામાં આવે તેવી ચારેય ગામના ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
વેધર રિપોર્ટ:4 દિવસમાં ઠંડીનો પારો 3 ડિગ્રી ગગડીને 17 ડિગ્રીએ પહોંચ્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં લોકો છેલ્લા થોડા દિવસથી ડબલ ઋતુનો અહેસાસ કરી રહ્યા છે. ત્યારે જિલ્લામાં ફરી શિયાળાની ઠંડીએ જોર બતાવવાનું શરૂ કર્યું છે. જિલ્લામાં ગુરૂવારે મહત્તમ તાપમાન 30 અને લઘુતમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે હવાની ગતિ 10 કિમી ભેજ 51 ટકા રહ્યો હતો. જેની સરખામણી ચાર દિવસ પહેલાના તાપમાન સાથે કરીએ તો તા.30ના રોજ રવિવારે મહત્તમ તાપમાન 31.3 તેમજ લઘુતમ 20.0 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવાની ગતિ 5 કિમી અને ભેજ 56 ટકા રહ્યો હતો. આમ ચાર દિવસમાં હવાની ગતિ 5 કિમી વધી અને ભેજ 5 ટકા ઘટી જતા લઘુતમ તાપમાન 3 ડિગ્રી અને મહત્તમ તાપમાન 1.3 ડિગ્રી ઘટાડો થયો છે.
નબળી કામગીરી:લખતરના નવા બનેલા રોડ ઉપર પાણીની લાઈન લીકેજ, રોડ પર પાણી ફરી વળ્યાં
લખતર સ્ટેશન રોડ નવો બનાવવામાં આવ્યો છે. પરંતુ આ રોડ ટૂંક સમયમાં તોડવો પડશે તેવી નોબત આવી શકે છે. તેનું કારણ છે લખતરમાં નાંખવામાં આવેલ વાસ્મોની લાઇનની નબળી કામગીરી. જેનાથી પાણીની લાઈન લીકેજ થતા રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. તેવામાં આ લીકેજ બંધ કરવા લાઈન રિપેર કરવા રોડ તોડવો પડે તો નવાઈ નહીં. લખતર સ્ટેશન રોડ બનાવવાની કામગીરી શરૂ થઈ ત્યારથી આ ગ્રામજનો માટે માથાના દુઃખાવા સમાન બન્યું હતું. આ કામગીરી યોગ્ય ન થતી હોવાની પણ ફરિયાદ ઉઠી હતી. હવે આ રોડ ઉપર પાણીની લાઈન લીકેજ થઈ હોવાની તસવીરો સામે આવી છે. લાઈન લીકેજ થતા નવા બનેલા રોડ ઉપર પાણી ફરી વળ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ દૃશ્યો અન્ય કોઈ જગ્યા નહીં પરંતુ મામલતદાર કચેરીએ જવાના રસ્તેથી સામે આવી રહ્યા છે. જ્યાં રોડ ઉપર પાણી ફરી વળતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. ભાસ્કર ઇનસાઇડલાઈન રિપેર કરવા આ રોડ તોડવો પડશેઆ નવા રોડ ઉપર પાણીની લાઈન લીકેજ થઈ રહી છે. જે રોડ બનતા યોગ્ય રીતે રિપેર કરી ન હતી. હવે આ રોડ લાઈન રિપેર કરવા તોડવો પડશે તેવી નોબત આવી શકે છે. રોડ બનતો હતો ત્યારે દિવ્ય ભાસ્કરે’ લાઈન લીકેજની આશંકા વ્યક્ત કરી હતી આ રોડની કામગીરી શરૂ થવાની હતી ત્યારે દિવ્ય ભાસ્કરે’ કામગીરી બાદ જો લાઈન લીકેજ થાય તો નવો રોડ તોડવાની નોબત આવી શકે તેવી આશંકા વ્યક્ત હતી. પરંતુ તંત્રે ધ્યાન આપ્યું ન હતું.
આગ લાગવાની ઘટના બની:વાઘેલા રોડ પર ડમ્પરમાં અચાનક આગ લાગી, જાનહાનિ ટળી
સુરેન્દ્રનગરના વાઘેલા રોડ પર ડમ્પરમાં લઇ અચાનક આગ આગ લાગી હતી. જેમાં જોત જોતામાં આગ વધુ પ્રસરતા ફાયર વિભાગને જાણ કરાઇ હતી. આથી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ કાબૂમાં લીધી હતી. આ બનાવમાં વાહનમાં સવાર બહાર નીકળી જતા કોઇ જાનહાનિ થઇ ન હતી. સુરેન્દ્રનગર શહેરમાં આગના બનાવો દિવસે દિવસે વધતા જાય છે. ત્યારે આવો જ એક બનાવ સામે આવ્યો હતો. જેમાં ગુરૂવારે વઢવાણ વાઘેલા રોડપરથી પસાર થતા ડમ્પરમાં અચાનક આગ લાગી હતી. જોત જોતામાં આગ પ્રસરતા આખી ધીમેધીમે આગ પ્રસરતા કાળા ડીંબાંગ ધુમાડાથી ઘેરાઇ ગયું હતું. આથી વાહન ચાલકોમાં નાશભાગ મચી હતી. વાહન ચાલકે સમય સૂચકતા વાપરી સવાર લોકો ઉતરી ગયા હતા. આ બનાવની જાણ કરવામાં આવતા મનપા ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ઓફિસર દેવાંગ દુધરેજીયા, મેહુલભાઇ રાઠોડ, ફારૂકભાઇ, અજીતસિંહ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં ફાયર ટેન્ડર અને ફાયર ફાઇટર સતત પાણીનો મારો ચલાવતા આગ કાબૂમાં આવી હતી. આ બનાવામાં સૂચકતાને લઇ કોઇ જાનહાનિ થઇ ન હતી. ઇજા પણ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાથમિક તપાસમાં આગ શોક શર્કિટથી લાગ્યાનું અનુમાન છે.
સાયલાના નવા સુદામડા પાસેથી પસાર થતા લોડિંગ વાહનના ચાલકે અચાનક સ્યિટરિંગ કાબૂ ગુમાવતા વાહન પલટી મારી ગયું હતું. નાના એવા કેરી લોડિંગ વાહનમાં બેઠેલા 17થી વધુ પહિલા અને પુરુષો રસ્તા વચ્ચે ફંગોળાઈ જતા રાડા રાડ જોવા મળી હતી. આ બાબતે આજુબાજુ જાણ થતા ઘટના સ્થળે લોકો દોડી ગયા હતા અને સાયલા, ડોળીયા 108ને જાણ થતા 17 જેટલા ઈજાગ્રસ્તોને સાયલા દવાખાને પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. 5 મહિલા અને 12 પુરુષ અને બાળકોને ઈજા થતા વધુ સારવાર માટે સુરેન્દ્રનગર વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ધંધુકાના ભરવાડ સમાજનો પરિવાર ચોટીલાના કાંધાસર ગામે મામેરુ લઈને જતા તેવા સમયે અચાનક છોટા હાથી જેવું પીકઅપ વાહન પલટી મારી જતા લગ્નના મામેરા ભરવાનો ઉમંગ અકસ્મતના દર્દમાં ફેરવાયો હતો. આ બાબતે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ પરી હતી. ઈજાગ્રસ્તના નામ: બુધાભાઈ વિભાભાઈ મુંધવા, કરસનભાઈ હાગાભાઈ મુંધવા, રમેશભાઈ વિરમભાઈ મુંધવા, લખીબેન મશરૂભાઈ, ગોપાલભાઈ મશરૂભાઈ દિનેશભાઈ આલાભાઈ બરવાડ, જીલુબેન રત્નાબાઈ ભરવાડ, કૃણાલ રાજુભાઈ બામ્બા, વિરમભાઈ વિહાભાઈ મુંધવા, પ્રહીશભાઈ ખોડાભાઈ મુંધવા મુકેશભાઈ લક્ષ્મણભાઈ મુંધવા, કોમલબેન જીલુભાઈ લાયેલા, મનિષાબેન રાજુભાઈ લાંબા, મેહુલભાઈ ભુપતભાઈ ચૌહાલ, પ્રિયાંશી રાજુભાઈ લામકા, વિશાલભાઈ પનાભાઈ ભાખા, જગદીશાભાઈ પોપટભાઈ ભરવાડ. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ઘણા સમયથી ગુજરાત રાજ્ય સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં લોકોના મૃત્યુ સાથે ઈજાગ્રસ્ત થવાના કિસ્સાઓ પણ બની રહ્યો છે.
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના રમત ગમત અને સંસ્કૃતિક વિભાગ તેમજ પ્રજ્ઞા ચક્ષુ મહિલા સેવાકુંજના સંયુક્ત ઉપક્રમે યોજાએલ સ્પેશીઅલ ખેલમહાકુંભમાં 29 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી યોજાયો હતો. 1000થી વધુ દિવ્યાંગ રમતવીરોએ ભાગ લીધો હતો એથલેટીક્સ અને ચેસ સહિતની અનેક રમતોમાં કૌવત બતાવ્યું હતું. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લારમત વિકાસ કચેરી દ્વારા જિલ્લાના શારીરિક, માનસીક ક્ષતિ, શ્રવણ ક્ષતિ ધરાવતા દિવ્યાંગજનો માટે તા.29 નવેમ્બર 4 ડિસેમ્બર સુધી દિવ્યાંગ ખેલમહાકુંભનુ આયોજન કરાયુ હતુ. જેમાં પ્રથમ દિવસે પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજખાતે ભાઇઓ બહેનોની ચેસ રમાઇ. બીજા દિવસે એમ.પી.શાહ કોલેજના મેદાનમાં દીવ્યાંગો માટેના ખેલમહાકુંભમાં એથલેટીક્સ રમત રમાઇ હતી. જ્યારે તા.2-12-25ના રોજ જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એથલેટીકસ, સાયકલીંગ, બોચી, વોલીબોલ, બાસ્કેટબોલ, બેડમીન્ટન, 100 મીટર 200 મીટર એથલેટીકસ, વોલીસબોલ સહિત ભાઇઓ બહેનોની રમત રમાઇ હતી. જ્યારે તા.4-12-25ના રોજ 4 ટીમો વચ્ચે ક્રિકેટ યોજાઇ. આ સ્પર્ધામાં પ્રજ્ઞાચક્ષુઓએ 450થી વધુ દિવ્યાંગોએ ટ્રાયસીકલરેસ, વ્હિલચેર રેસ, દોડ, લાંબીકુદ, ઉંચી કુદ, ચકરફેંક, ભાલાફેંક તથા 450 માનસીકક્ષતી ધરાવતા અને 100 શ્રવણક્ષતી ધરાવતા રમતવીરોએ દોડ, વોક, લાંમ્બીકુદ, સોફ્ટબોલ થ્રો, બોચી, ગોળાફેંક, સાયકલીંગ રમતમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઇ મકવાણાએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતુ. આ આયોજન સફળ બનાવવા પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ તથા આશીર્વાદ વિકલાંક ટ્રસ્ટ સાયલા રમતગમત અધિકારી બળવંતસિંહ ચૌહાણ સહિત ટીમે પ્રયાસ કર્યા હતા. ખેલમહાકુંભમાં યોજાયેલ રમતોપ્રથમ દિવસે ભાઈઓ-બહેનોની ચેસ, બીજા દિવસે એથલેટીક્સ રમત, તા.2 ના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એથલેટીકસ, સાયકલીંગ, બોચી, વોલીબોલ, બાસ્કેટબોલ, બેડમીન્ટન, 100 મીટર 200 મીટર એથલેટીકસ, વોલીસબોલ સહિતની રમતો, તા.4ના રોજ 4 ટીમો વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ હતી.
ભવ્ય પાટોત્સવનું આયોજન:ધ્રાંગધ્રામાં મસાણી મેલડી માતાજીના 8મા પાટોત્સવમાં 25 હજાર ભક્તો ઉમટ્યા
ધ્રાંગધ્રા શહેરના કુંભારપરા વિસ્તારમાં મસાણી મેલડી માતાજીનો આઠમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ ડાક ડમરૂ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના 25 હજાર જેટલાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના કુંભારપરા વિસ્તારમાં મસાણી મેલડી માતાજીનો આઠમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં સવારથી નવચંડી મહાયજ્ઞ યોજાયો હતો બપોરના 12 કલાકે માતાજીના સાનિધ્યમાં મહાપ્રસાદ ધરાયો હતો. જેમાં ધ્રાંગધ્રા શહેરના તમામ સમાજના લોકોએ પારસાદનો લાભ લીધેલ હતો. જેમાં અંદાજીત 10થી 12 હજાર જેટલા ભક્તો એ લાભ લીધો હતો. માતાજીના આઠમા પાટોત્સવ નિમિત્તે ભવ્ય મહા આરતી મહાપ્રસાદ નવ ચંડી યજ્ઞ તથા રાત્રીના સમયે મુન્નાભાઈ રાવળ ભરતભાઈ કુઢીયા ભવ્ય ડાક ડમરૂ ની રમઝટ બોલાવી હતી ત્રણ દિવસ મા 25 હજાર થી વધુ ભકતોએ લાભ લીધો હતો. નવરંગા માતાજીના માંડવનુ આયોજન કરવામાં આવ્યું . આ કાર્યક્રમને સફળ બનાવવા સર્વે સમાજના ભાઈઓ યુવક મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

25 C