SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
... ...View News by News Source

સુરેન્દ્રનગર બાર એસોસિએશન ચૂંટણી: ઘનશ્યામસિંહ ઝાલા પ્રમુખ બન્યા:વિપુલ જાની સેક્રેટરી તરીકે ચૂંટાયા, અન્ય હોદ્દેદારો બિનહરીફ

સુરેન્દ્રનગર બાર એસોસિએશનની વર્ષ 2025-26 માટેની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઘનશ્યામસિંહ ડી. ઝાલા પ્રમુખ પદે વિજેતા થયા છે, તેમને 276 મત મળ્યા હતા. જ્યારે સેક્રેટરી પદ માટે વિપુલભાઈ સુરેશભાઈ જાની 276 મત મેળવીને વિજેતા બન્યા છે. ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા આગામી વર્ષ 2025-26 માટે બાર એસોસિએશનના હોદ્દેદારોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા કોર્ટમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મહિલા ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી જેવા હોદ્દાઓ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી કમિશનર તરીકે રવિન્દ્રસિંહ વી. ચુડાસમા અને સહાયક ચૂંટણી કમિશનર તરીકે યુવરાજસિંહ વી. પરમારની નિમણૂક કરવામાં આવી હતી. ચૂંટણીની જાહેરાત બાદ 1 થી 2 ડિસેમ્બર સુધી ઉમેદવારી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે પ્રમુખ પદ માટે 2, સેક્રેટરી માટે 2 અને અન્ય પદો માટે 1 મળીને કુલ 8 ફોર્મ લઈ જવામાં આવ્યા હતા. 8 ડિસેમ્બરે ફોર્મની ચકાસણી અને 9 ડિસેમ્બરે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી હતી. 10 ડિસેમ્બરના રોજ ઉમેદવારીની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેમાં કેટલાક પદો પર કોઈ અન્ય ઉમેદવારે ફોર્મ ન ભરતા ઉપપ્રમુખ તરીકે કશ્યપભાઈ વી. શુક્લ, મહિલા ઉપપ્રમુખ તરીકે દીપાલીબેન એમ. શાહ, મહિલા રિપ્રેઝન્ટેટિવ તરીકે ભારતીબેન પી. પતાણી અને જોઈન્ટ સેક્રેટરી તરીકે રોહિતકુમાર શામજીભાઈ સાપરાને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે પ્રમુખ પદ માટે ઘનશ્યામસિંહ ડી. ઝાલા અને મહેન્દ્ર મુળીયા વચ્ચે સ્પર્ધા હતી. સેક્રેટરી પદ માટે વિપુલ સુરેશભાઈ જાની અને રવિ અશોકભાઈ માંડલિયાએ ઉમેદવારી નોંધાવી હતી. 19 ડિસેમ્બરના રોજ સવારે 11 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. કુલ નોંધાયેલા 400 મતદારોમાંથી 325 મતદારોએ મતદાન કર્યું હતું. પ્રમુખ પદ માટે ઘનશ્યામસિંહ ઝાલાને 276 મત અને મહેન્દ્ર મુળીયાને 43 મત મળ્યા હતા, જેથી ઘનશ્યામસિંહ ઝાલા વિજેતા બન્યા હતા. સેક્રેટરી પદ માટે વિપુલ જાનીને 276 મત અને રવિ માંડલિયાને 83 મત મળ્યા હતા. આમ, વિપુલ જાની 151 મતોની સરસાઈથી વિજેતા થયા હતા. નવા વરાયેલા હોદ્દેદારોને સર્વે વકીલો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 10:38 pm

ડાંગના સુબિરમાં 100થી વધુ ભાજપ આગેવાનો કોંગ્રેસમાં જોડાયા:સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપને મોટો રાજકીય ઝટકો

ડાંગ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે ભારતીય જનતા પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. સુબિર તાલુકામાંથી અંદાજે 100થી વધુ ભાજપના આગેવાનોએ પાર્ટી છોડી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. આ ઘટનાએ જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે. અમદાવાદ ખાતેના કોંગ્રેસ કાર્યાલયમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે તમામ આગેવાનોને કોંગ્રેસનો ખેસ પહેરાવી સત્તાવાર રીતે પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતની આગેવાનીમાં આ આગેવાનોએ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો છે. મંગળ ગાવીતે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાની જનતા વિકાસ, ન્યાય અને આદિવાસી હિતોની સાચી લડાઈ લડતી પાર્ટી તરીકે કોંગ્રેસ પર વિશ્વાસ મૂકે છે. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપે સ્થાનિક સ્તરે લોકોની અપેક્ષાઓ પૂરી ન કરતાં નિરાશા ફેલાઈ છે, જેના કારણે અનેક કાર્યકરો અને આગેવાનો આજે કોંગ્રેસ તરફ વળ્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ડાંગ સહિત સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ ફરી મજબૂત બની રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ જનસમર્થન સાથે સત્તામાં આવશે. તેમણે નવા જોડાયેલા આગેવાનોને જનસેવામાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા અપીલ કરી. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે સુબિર તાલુકામાંથી મોટી સંખ્યામાં આગેવાનોના પક્ષ પલટાને કારણે ડાંગ ભાજપના સંગઠન પર સીધી અસર પડશે. ખાસ કરીને ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસની સ્થિતિ વધુ મજબૂત બનશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાએ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ડાંગના રાજકારણમાં નવી ગતિ અને તીવ્ર સ્પર્ધાનો માહોલ ઊભો કર્યો છે. આવનારા દિવસોમાં અન્ય આગેવાનો પણ પક્ષ પલટો કરે છે કે કેમ, તેની પર સૌની નજર રહેશે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 10:31 pm

આહવા કોલેજમાં 'આત્મનિર્ભર ભારત' સેમિનાર યોજાયો:સ્વદેશી અપનાવવા વિદ્યાર્થીઓએ શપથ લીધા, વિજય પટેલે સંબોધન કર્યું

આહવા: સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવા ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ દ્વારા 'આત્મનિર્ભર ભારત' અને 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' સંકલ્પ અભિયાન અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારની શરૂઆતમાં વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને ઉપસ્થિત સૌએ સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે લેખિત સંકલ્પ અને શપથ લીધા હતા. કાર્યક્રમ દરમિયાન વિજયભાઇ પટેલે આત્મનિર્ભર ભારતના વિચારને રજૂ કરતા જણાવ્યું હતું કે ભારતને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે દેશી ઉત્પાદનોનો ઉપયોગ અનિવાર્ય છે. વિદેશી વસ્તુઓના આકર્ષણથી દૂર રહી સ્વદેશી અપનાવવાથી સ્થાનિક ઉદ્યોગો મજબૂત બનશે, રોજગારીની તકો વધશે અને દેશનું અર્થતંત્ર સશક્ત બનશે. તેમણે સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન સ્વદેશી ચળવળની ભૂમિકા વિશે સમજાવતા કહ્યું કે તે સમયની જેમ આજે પણ સ્વદેશી અપનાવવું એ દેશસેવાનો જ એક ભાગ છે. આત્મનિર્ભર ભારત અભિયાનનો મુખ્ય હેતુ આર્થિક, સામાજિક વિકાસ સાથે રોજગારીનું સર્જન કરવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા આ અભિયાનમાં દરેક નાગરિકની સક્રિય ભાગીદારી જરૂરી હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું. પટેલે કોરોના મહામારી દરમિયાન સ્વદેશી રીતે નિર્મિત વેક્સિન અને દવાઓએ દેશને કેવી રીતે આત્મનિર્ભર બનાવ્યો, તેનું ઉદાહરણ આપી સ્વદેશીની શક્તિ સમજાવી હતી. આ પ્રસંગે કોલેજના આચાર્યએ ઇતિહાસમાં શરૂ થયેલી સ્વદેશી ચળવળથી લઈને આજના આધુનિક ભારત સુધી સ્વદેશી વિચારધારાનો સમગ્ર ચિતાર રજૂ કર્યો હતો. તેમણે ડાંગ જિલ્લાના લોકલ મિલેટ્સ અને પારંપરિક સાંસ્કૃતિક પરંપરાઓને સ્વદેશીનો અભિન્ન ભાગ ગણાવી તેને અપનાવવાની અપીલ કરી હતી. NSS વિભાગના પ્રોગ્રામ ઓફિસર ઉમેશ હડસેએ જણાવ્યું કે સ્વદેશી અભિયાન માત્ર સરકારનું નહીં પરંતુ દેશના દરેક નાગરિકનું છે. જ્યારે છેવાડેનો વ્યક્તિ પણ સ્વદેશી અપનાવે છે ત્યારે દેશના અર્થતંત્રને નવી ઊર્જા મળે છે. વિદેશી કંપનીઓ નફો કમાવી જતી રહે છે, જ્યારે દેશી ઉદ્યોગોને ટેકો આપવાથી સ્થાનિક વિકાસ અને રોજગારીનું સર્જન શક્ય બને છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 10:11 pm

દાહોદ મતદારયાદીમાંથી 58,540 મૃત મતદારો રદ:હજારો ડુપ્લીકેટ નામો પણ દૂર કરાયા, 18 જાન્યુઆરી સુધી વાંધા અરજી કરી શકાશે

દાહોદ જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા આ કાર્યક્રમ હેઠળ 19 ડિસેમ્બર, 2025ના રોજ મુસદ્દા મતદારયાદીની સત્તાવાર પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં હજારો નામો રદ કરવામાં આવ્યા છે, જેમાં 58,540 મૃત મતદારોનો સમાવેશ થાય છે. સત્તાવાર અખબારી યાદી અનુસાર, દાહોદ જિલ્લામાં અગાઉ કુલ 16,93,002 નોંધાયેલા મતદારો હતા. આમાંથી 14,86,805 મતદારોનું મેપિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે, જ્યારે 25,940 મતદારોનું મેપિંગ થઈ શક્યું નથી. સઘન ચકાસણી પ્રક્રિયા દરમિયાન, જિલ્લામાંથી કુલ 58,540 મૃત મતદારો અને 18,242 ડુપ્લીકેટ મતદારોની ઓળખ કરવામાં આવી હતી. આ ઉપરાંત, 82,166 મતદારો કાયમી ધોરણે સ્થળાંતરિત થયા હોવાનું જણાયું છે, જ્યારે 20,409 મતદારો તેમના નોંધાયેલા સરનામે મળી આવ્યા નથી. 878 મતદારોએ ગણતરી ફોર્મ પરત આપવાની અનિચ્છા દર્શાવી હતી. SIR-2026ની ડ્રાફ્ટ યાદી અંગે જાણવા માગો છો એ બધું જ ગ્રાફિક્સના માધ્યમથી જાણો https://electoralsearch.eci.gov.in/ પર જઈને પણ તમારું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં છે કે નહીં તે તપાસી શકાશે. આ વેબસાઇટમાં નામ ચેક કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિઝર સમજાવી રહ્યા છીએ મૃત, કાયમી સ્થળાંતરિત, ગેરહાજર અને ડુપ્લીકેટ મતદારોની આ વિગતવાર યાદી CEO Gujaratની સત્તાવાર વેબસાઇટ, મતદાર નોંધણી અધિકારીઓની કચેરીઓ, દરેક મતદાન મથકો, ગ્રામ પંચાયત કચેરીઓ અને નગરપાલિકા કચેરીઓ ખાતે જાહેર જનતા માટે પ્રસિદ્ધ કરવામાં આવી છે. ચૂંટણી પંચની સૂચના મુજબ, નાગરિકો 19 ડિસેમ્બર, 2025 થી 18 જાન્યુઆરી, 2026 સુધી મતદારયાદીમાં નામ ઉમેરવા, કાઢી નાખવા અથવા સુધારા માટે વાંધા અને સૂચનો રજૂ કરી શકશે. આ વાંધા અરજીઓના નિકાલ બાદ, 17 ફેબ્રુઆરી, 2026ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. વધુ માહિતી અથવા માર્ગદર્શન માટે, નાગરિકો ચૂંટણી પંચની હેલ્પલાઇન નંબર 1950 પર સંપર્ક કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 10:08 pm

સુરેન્દ્રનગર જિલ્લામાં 1.37 લાખ મતદારોના નામ કપાયા:સ્થળાંતરિત, મૃતક, ડુપ્લિકેટ મતદારો હટાવાયા; 18મી જાન્યુઆરી સુધી વાંધા અરજી કરી શકાશે

ભારતના ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં 1 જાન્યુઆરી, 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં 'મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ' શરૂ કરાયો છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં કુલ 1,37,055 મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે, જેમાં મૃતક, ડુપ્લિકેટ, સ્થળાંતરિત અને ગેરહાજર મતદારોનો સમાવેશ થાય છે. આ સુધારણા કાર્યક્રમના અનુસંધાને, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી, ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ અને પ્રતિનિધિઓને ડ્રાફ્ટ ઈલેક્ટોરલ રોલની હાર્ડ અને સોફ્ટ કોપી તેમજ ક્ષતિરહિત યાદી બનાવવા માટે જરૂરી ASD યાદી એનાયત કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ ડેટા શુદ્ધિકરણની પ્રક્રિયા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લાના પાંચ વિધાનસભા મતવિસ્તારો—દસાડા, ચોટીલા, લીંબડી, વઢવાણ અને ધ્રાંગધ્રામાં અગાઉ નોંધાયેલા કુલ 14,81,991 મતદારોની ચકાસણી પૂર્ણ થઈ છે. આ પ્રક્રિયામાં 43,094 મૃતક મતદારો, 5,752 ડુપ્લિકેટ મતદારો, 71,858 કાયમી સ્થળાંતરિત થયેલા મતદારો અને સંપર્ક ન થઈ શક્યો હોય અથવા હાજર ન હોય તેવા 15,201 મતદારો સહિત કુલ 1,37,055 નામો દૂર કરીને મતદારયાદીને શુદ્ધ કરવામાં આવી છે. SIR-2026ની ડ્રાફ્ટ યાદી અંગે જાણવા માગો છો એ બધું જ ગ્રાફિક્સના માધ્યમથી જાણો https://electoralsearch.eci.gov.in/ પર જઈને પણ તમારું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં છે કે નહીં તે તપાસી શકાશે. આ વેબસાઇટમાં નામ ચેક કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિઝર સમજાવી રહ્યા છીએ મતદારયાદી સુધારણાના સમયપત્રક અંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુદીપ શાહે વિગતો આપતા જણાવ્યું કે, 19 ડિસેમ્બર, 2025થી 18 જાન્યુઆરી, 2026 સુધીના એક માસના ગાળામાં નાગરિકો નવા નામ નોંધાવવા, નામ કમી કરાવવા કે વિગતોમાં સુધારા-વધારા માટે હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે. આ અરજીઓની ચકાસણી અને સુનાવણી 10 ફેબ્રુરી, 2026 સુધીમાં પૂર્ણ થશે. ચૂંટણી પંચની આખરી મંજૂરી બાદ, 17 ફેબ્રુઆરી, 2026ના રોજ જિલ્લાની આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આ પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે સહાયક મતદાર નોંધણી અધિકારીઓની નિમણૂક કરાઈ છે. હાલમાં, અંદાજે 81,918 મતદારોનું 2002ની મતદારયાદીમાં મેપિંગ થઈ શક્યું નથી, જેમના દસ્તાવેજોની ચકાસણી બાદ જ આખરી યાદીમાં સમાવેશ અંગે નિર્ણય લેવાશે. જિલ્લા કલેકટરે તમામ પાત્રતા ધરાવતા નાગરિકોને આ સુધારણા કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 10:03 pm

ભાવનગર જિલ્લામાં 18.66 લાખ પૈકી 16.37 લાખ મતદારો નોંધાયા:અવસાન પામેલા 66,086 મતદારો, અનટ્રેસેબલ મતદારો 22,004, જાણો તમારું નામ લિસ્ટમાં છે કે નહીં

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. જેમાં ભાવનગર જિલ્લાની મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR)ની મુસદ્દા મતદાર યાદી અંગે આજરોજ જિલ્લા ચુંટણી અધિકારી ડૉ.મનીષ કુમાર બંસલ દ્વારા પત્રકાર પરિષદ યોજી SIR કામગીરી અંગે માહિતી આપી હતી. વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશેઆ અંગે જિલ્લા ચુંટણી અધિકારી ડૉ.મનીષ કુમાર બંસલ જણાવ્યું હતું કે, 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની હાથ ધરવામાં આવેલી ગણતરીના તબક્કાની કામગીરી બાદ આજરોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. 18મી જાન્યુઆરી, 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે. ત્યારબાદ 10મી ફેબ્રુઆરી, 2026 સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે. 16.37 લાખ મતદારોનું ડિજીટાઇઝેશન થયુંઆ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ.મનીષ બંસલએ જણાવ્યું કે, મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની કામગીરી અંતર્ગત કુલ 18,66,937 મતદારો પૈકી 16,37,981 મતદારો પાસેથી ગણતરી ફોર્મ મળ્યા છે. આ તમામ ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિજીટાઇઝેશન કરવામાં આવ્યું છે. BLO દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અવસાન પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરેલા તથા બે જગ્યાએ મતદાર તરીકે નોધાયેલા મતદારોને ઓળખવામાં આવ્યાં હતાં. જેમાં, અવસાન પામેલા મતદારો 66,086, કાયમી ધોરણે સ્થળાંતર કરી ચૂકેલા મતદારો 1,24,850, અનટ્રેસેબલ મતદારો 22,004, ઓલરેડી ઇનરોલ્ડ મતદારો 14,262, અન્ય 1754 મતદારો હતા. SIRની જાહેરાત બાદથી જ અવસાન પામેલા, કાયમી સ્થળાંતર કરી ગયેલા, ગણતરી દરમિયાન ગેરહાજર સહિતના વિવિધ કારણોથી પાછા ન મળેલા ફોર્મની ખરાઈ માટે બૂથ લેવલ ઓફિસર અને રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં આ પ્રકારની બેઠકોના અંતે જેતે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે જે મતદારોના ફોર્મ પાછા નથી આવ્યા તેમની યાદી જિલ્લા ચૂંટણી અધિકારી અને મુખ્ય નિર્વાચન અધિકારી (CEO)ની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી છે. 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખે 18 વર્ષ પુરા કરનાર યુવાનો ફોર્મ નં.6 ભરીને તેઓનું નામ આખરી મતદાર યાદી કે જે 17 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રસિધ્ધ થવાની છે તેમાં દાખલ કરાવી શકે છે. જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી જો આપનું નામ મુસદ્દા મતદાર યાદીમાં ન હોય તો મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે ફોર્મ નં.6 ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકો છો. જો મુસદ્દા મતદાર યાદીમાં દર્શાવેલ વિગતોમાં કોઇ ભૂલ હોય તો ડેક્લેરેશન સાથે ફોર્મ નં. 8 ભરીને જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન,ઓફ લાઇન અરજી કરી શકાય છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 10:00 pm

વિદ્યાર્થીએ રડતા રડતા ભાઈને કહ્યું-'સર મને અપશબ્દો બોલે છે':ઝાલોદમાં ધો.10ના વિદ્યાર્થીનો આશ્રમ શાળાની હોસ્ટેલમાં આપઘાત, શિક્ષકો હેરાન કરતા હોવાનો આક્ષેપ

ઝાલોદ તાલુકાના દેવજીની સરસવાણી ગામે આવેલી રામ જાનકી ઉત્તરબુનિયાદી આશ્રમ શાળામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. અહીં અભ્યાસ કરતા ધોરણ-10ના એક વિદ્યાર્થીએ છાત્રાલયના રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જેથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ અંગે ​મળતી માહિતી મુજબ દેવજીની સરસવાણી આશ્રમ શાળાની છાત્રાલયમાં રહેતા ધોરણ-10ના વિદ્યાર્થી પવન ચરપોટે પોતાના રૂમમાં પંખા સાથે કપડું બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. લટકતી હાલતમાં વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા છાત્રાલયના અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ઝાલોદ પોલીસ અને વહીવટી અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ​વિદ્યાર્થીના આત્મહત્યાના સમાચાર મળતા જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જોકે, આ આત્મહત્યા પાછળ ગંભીર કારણો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મૃતક વિદ્યાર્થીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, બે દિવસ પહેલા જ વિદ્યાર્થીએ પરિવાર સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, તેને શાળાના શિક્ષકો દ્વારા હેરાન કરવામાં આવી રહ્યો છે. પોલીસે વધુ તપાસ માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક વિદ્યાર્થીના ભાઈ હર્ષદ ચરપોટે જણાવ્યું કે, બે ત્રણ દિવસ પહેલા મારા ભાઈનો ફોન આવ્યો હતો અને રડતો હતો. રડતા રડતા કહ્યું હતું કે, સર મને હેરાન કરે છે અને અપશબ્દો બોલે છે તું હોસ્ટેલમાં આવીને વાત કરજે. આજે આશ્રમ શાળામાંથી જાણ થઈ કે ભાઈએ સુસાઇડ કર્યું છે. આ બાબતે તપાસ થવી જોઈએ. રામ જાનકી આશ્રમ શાળાના આચાર્ય નિતેશ પ્રજાપતિએ જણાવ્યુ કે, આશ્રમ શાળા અંદર જ્યારે બાળકો જમવા માટે ગયા ત્યારે એક છોકરો જમીને દરવાજા પાસે ગયો હતો. જોકે, તે બારણું ખોલતો ન હતો. જેથી ધક્કો મારીને દારવાજો ખોલ્યો તો વિદ્યાર્થી લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેથી 108 અને પોલીસ તેમજ અમારા અધિકારીઓને આ બાબતે જાણ કરી હતી. હાલમાં પોલીસ દ્વારા કાર્યવાહી ચાલી રહી છે. આશ્રમ શાળામાં છાત્રની આપઘાતની ઘટનાને લઈને પ્રાયોજના વહીવટદાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. છાત્રના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે દાહોદ ઝાયડ્સ ખાતે લઈ જવાયો છે. આ બનાવથી શિક્ષક આલમ ભારે ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીના મોત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. પરિવારના આક્ષેપોને પગલે પોલીસ હવે તે દિશામાં તપાસ કરી રહી છે. ધોરણ-10ની બોર્ડની પરીક્ષાના બે માસ બાકી છે. ત્યારે એક આશાસ્પદ વિદ્યાર્થીના આવા અંતથી સમગ્ર આશ્રમ શાળા અને ગ્રામીણ વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 9:56 pm

બિલ્ડરની ઇનોવા કારે 5 મહિનાની માસૂમને કચડી:માથા પર ટાયર ફરી વળતાં મોત, પરિવાર બાળકીને ઉચકીને વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં પહોંચ્યો

વડોદરા નજીક ભાયલીમાં ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા મજૂર પરિવારની 5 મહિનાની દીકરી પર બિલ્ડરની ઇનોવા કારનું ટાયર ચડી જતાં મોત નીપજ્યું હતું. બાળકીને ગોદડી પર સુવડાવીને માતા-પિતા કામ કરી રહ્યા હતા ત્યારે બિલ્ડર કાર લઈને સાઇટમાં દાખલ થયો અને અકસ્માત સર્જાયો હતો. પરિવાર બાળકીને ગોત્રી હોસ્પિટલ લઈ ગયો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. તાલુકા પોલીસે બિલ્ડર સામે ગુનો નોંધી સાઇટના CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. 4 દિવસથી ભાયલી સાઇટ પર માતા-પિતા કડિયાકામ કરતા હતામૂળ દાહોદના અને હાલમાં વડોદરા નજીક શેરખી ગામે રહેતા વિનુભાઇ વસનાભાઇ પણદાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, હું કડિયાકામ કરુ છુ. હું મારી પત્ની માનસી તથા નાની દીકરી (ઉં.વ.5 માસ) સાથે કડીયાકામ કરુ છું. હાલમાં છેલ્લા 4 દિવસથી ભાયલી સોપાન-55ની નવી બનતી સાઇટનું કડીયાકામ કરીએ છીએ. 19 ડિસેમ્બરના રોજ સવારે નવ વાગ્યે હું મારા પત્ની, નાની દીકરી અનન્યા તથા નાનો દીકરા આર્યનને અમારી સાથે ભાયલી સૌપાન-55ની સાઈટ પર સાથે લઈને આવ્યા હતા. બિલ્ડર કાર લઈને બહારથી આવ્યો ને મારી દીકરી પર કારનું ટાયર ચડાવી દીધુમારા પત્નીએ અનન્યાને અમારી સાઈટના ગેટની બાજુમાં જમીન ઉપર ગોદડી પાથરીને સુવડાવી હતી અને દીકરો તેની સાથે રમતો હતો. હું તથા મારા પત્ની પિતરાઈ ભાઇ ત્રણેય જણા સાઇટમાં પેવર બ્લોકનું કામ કરતા હતા. તે દરમિયાન આશરે 9.30 વાગ્યે અમારી સાઇટના બિલ્ડર ઈનોવા કાર બહારથી લઇને આવ્યો હતો અને મારી દીકરી અનન્યાના માથા પર કારનું ટાયર ચઢાવી દીધું હતું. ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી હતીમારો નાનો દીકરો આર્યન બુમાબુમ કરી રડવા લાગ્યો હતો. જેથી અમે સ્થળ પર દોડી ગયા હતા ત્યારે દીકરી અનન્યાને માથા તથા કાનમાંથી લોહી નિકળતુ હતું. જેથી અમે તુરંત જ અમારા સાઈટ સુપરવાઇઝર વાસુભાઈ મન્જીયા તેમની મોપેડ પર મારી દીકરીને ઉચકીને ભાયલી સરકારી દવાખાને લઈ ગયા હતા પરંતુ, દીકરીને ગંભીર ઇજાઓ પહોંચી હતી, તેને 108 એમ્બ્યુલસ મારફતે ગોત્રી સરકારી દવાખાને લઈ જતા ફરજ ઉપર ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી હતી. તાલુકા પોલીસે દીકરીના લાશને ગોત્રી સરકારી દવાખાનામાં પોસ્ટ મોર્ટમ કરાવી કોલ્ડરૂમમાં મુકવામાં આવ્યો છે. અકસ્માત સર્જનાર કાર સોપાન સાઇટના બિલ્ડર જીતુ પટેલની હતી અને બિલ્ડર કાર ચલાવતો હતો, જેથી તાલુકા પોલીસે આ સાઇટના CCTV ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 9:45 pm

કાપડના વેપારી સાથે ત્રણ લોકોએ 16.94 લાખની છેતરપિંડી આચરી:લેડીઝ કુર્તીનો કાપડનો માલ ઉધારીમાં ખરીદી વેપારીને રૂપિયા પરત ન આપ્યા, વેપારીએ ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી

અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા હોલસેલ કાપડના વેપારી સાથે 16.94 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. ઓર ચીડ ક્રિએશનના માલિક દમયંતી દેવી રાજકુમાર લાલવાણી અને શ્યામ ગારમેન્ટના માલિક મનીષ બારડીયા તેમજ ઋષભ જૈને કાપડના વેપારી પાસેથી લેડીસ કુર્તી કાપડનો માલ ઉધારીમાં ખરીદ્યો હતો. વાલનું પેમેન્ટ 30 દિવસમાં ચૂકવી દેવા ખાતરી આપવામાં આવી હતી. વાયદા મુજબ પેમેન્ટ ન આપી 16.94 લાખની છેતરપિંડી આચરી છે. પૈસા ન આપતા વેપારીએ છેતરપિંડીની ત્રણ લોકો સામે ફરિયાદકાપડના વેપારીએ ટેલીફોનિક વાતચીત કરી અનેક વખત રકમની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદીનો કાપડનો માલ અન્ય લોકોને સસ્તા ભાવે વેચી પૈસા ન આપતા વેપારીએ છેતરપિંડીની ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. કાપડ બજારના વેપારીઓ ઓરચીડ ક્રીએશનના પ્રોપરાઇટર દમયંતીદેવી રાજેન્દ્રકુમાર લાલવાણી શ્યામ ગારમે ફર્મના પ્રોપરાઇટર મનીષ બરડીયા અને બંને ફર્મના અધિકૃત વ્યક્તિ ઋષભ જૈને લેડીસ કુરતીનો હોલસેલ વેપાર ધંધો કરતા હોવાનું તેમજ બજારમાં તેઓની ખૂબ સારી શાખ હોવાનું જણાવ્યું હતું. તેમના પર વિશ્વાસ રાખી કાપડના વેપારીએ ધંધાકીય વાતચીત કરી હતી. હોલસેલમાં લેડીઝ કુર્તીનો માલ ખરીદવાનો નક્કી કરી માલની ડિલિવરી મળ્યા બાદ 30 દિવસમાં પેમેન્ટ ચૂકવી દેવાની ખાતરી આપી હતી. જે બાદ મેં મહિનામાં કુરતી કાપડનો માલ મંગાવી શરૂઆતમાં સમય મર્યાદામાં નિયમિત રીતે પેમેન્ટની ચુકવણી કરી હતી. 15 દિવસથી પેમેન્ટ કરી આપવાની ખાતરી આપી હતીજેથી વેપારીએ વિશ્વાસ રાખી વધુ માલ આપવાની તૈયારી દર્શાવી હતી. જે બાદ વેપારી પાસેથી વધુ માલ લઈને 30 દિવસમાં પેમેન્ટ આપવાની ખાતરી આપી પરંતુ સમયસર પેમેન્ટ આપ્યું નહતું. આરોપીઓની બંને ફોર્મમાં 16.94 લાખ જેટલી રકમ લેવાની નીકળતી હતી પરંતુ, તેના આપતા વેપારી જ્યારે રૂબરૂ મળવા ગયા ત્યારે 15 દિવસથી પેમેન્ટ કરી આપવાની ખાતરી આપી હતી. તેમ છતાં પેમેન્ટની ચુકવણી ન કરતા વેપારીએ ત્રણ લોકો સામે 16.94 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 9:42 pm

મહીસાગર જિલ્લાની મતદારયાદીનો ડ્રાફ્ટ રોલ જાહેર:જિલ્લાના કુલ 849456 મતદારો પૈકી 777709 મતદારોનો સમાવેશ, 71750 નામ રદ્દ

મહીસાગર જિલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી તેમને આ પ્રક્રિયાથી અવગત કરાયા હતા. 19 ડિસેમ્બર, 2025ના રોજ પ્રસિદ્ધ થયેલી મુસદ્દા મતદારયાદીમાં જિલ્લાના કુલ 8,49,456 મતદારો પૈકી 7,77,709 મતદારોનો સમાવેશ કરાયો છે. 71,750 મતદારોના નામ ડ્રાફ્ટ રોલમાં સમાવાયા નથી, જેમાં ગેરહાજર મતદારો (3,579), કાયમી સ્થળાંતરિત (32,197), મૃત્યુ પામેલા (29,068), ડુપ્લિકેટ (6,552) અને અન્ય કારણોસર (354)નો સમાવેશ થાય છે. જિલ્લામાં અગાઉ 963 મતદાન મથકો હતા, જેમાં નવા 71 ઉમેરાતા કુલ સંખ્યા 1034 થઈ છે. આ પણ વાંચો : SIR-2026ની ડ્રાફ્ટ યાદી જાહેર, ડ્રાફ્ટ વોટર લિસ્ટમાં તમારું નામ આ 3 સ્ટેપથી ચેક કરો આ ડ્રાફ્ટ મતદારયાદી અને ASD (Absent, Shifted, Dead) યાદી જિલ્લા ચૂંટણી અધિકારી, મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીઓ તેમજ તમામ મતદાન મથકો અને ગ્રામ પંચાયતો ખાતે ઉપલબ્ધ છે. મતદારો 19 ડિસેમ્બર, 2025 થી 18 જાન્યુઆરી, 2026 સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે. આ અરજીઓની સુનાવણી અને ચકાસણી 19 ડિસેમ્બર, 2025 થી 10 ફેબ્રુઆરી, 2026 દરમિયાન હાથ ધરાશે. મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ 17 ફેબ્રુઆરી, 2026 ના રોજ કરવામાં આવશે. લાયકાત ધરાવતા મતદારો ફોર્મ નંબર-6 (નવી નોંધણી માટે) અને ફોર્મ નંબર-8 (સુધારા માટે) માન્ય પુરાવા સાથે સંબંધિત મતદાન મથકના BLO (બૂથ લેવલ ઓફિસર) ને રજૂ કરી શકે છે. મતદારો voters.eci.gov.in વેબસાઇટ દ્વારા ઓનલાઈન પણ ફોર્મ ભરી શકે છે, જેથી ક્ષતિરહિત આખરી મતદારયાદી તૈયાર કરી શકાય. કાર્યક્રમના અંતે કલેક્ટર અર્પિત સાગરે ઉપસ્થિત રાષ્ટ્રીય પક્ષોના પ્રતિનિધિઓને મુસદ્દા મતદારયાદીની હાર્ડ કોપી, ડીવીડી સ્વરૂપે સોફ્ટ કોપી અને ASD યાદી સુપરત કરી હતી. તેમણે રાજકીય પક્ષોને આ યાદીની ઝીણવટભરી તપાસ કરી સહયોગ આપવા વિનંતી કરી હતી અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા માટે સચોટ મતદારયાદી અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, મહીસાગર, લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુરના પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લા ચૂંટણી શાખાના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે પક્ષના પ્રતિનિધિઓને વહીવટી કામગીરી અંગે કોઈ પણ રજૂઆત કે સૂચન હોય તો તે તંત્ર સમક્ષ રજૂ કરવા અનુરોધ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 9:18 pm

કચ્છમાં 2.14 લાખ મતદારોના નામ કપાયા:18મી જાન્યુઆરી સુધી વાંધા અરજી કરી શકાશે, SIR ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર

કચ્છ જિલ્લામાં નવી મુસદ્દા મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી મુજબ જિલ્લામાં કુલ 14,76,406 મતદારો નોંધાયેલા છે. અગાઉનીની મતદાર યાદીમાં 16,90,584 મતદારો હતા, જે દર્શાવે છે કે 2,14,175 મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ છ વિધાનસભા મતવિસ્તાર આવેલા છે. તા. 01 જાન્યુઆરી 2026ની લાયકાત તારીખના સંદર્ભમાં, મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SIR–2026)ના ભાગરૂપે આ મતદારોના નામ જુદા જુદા કારણોસર દૂર કરાયા છે. કુલ 16,90,584 મતદારો પૈકી 14,76,409 મતદારો (87.33 ટકા) દ્વારા ફોર્મ પરત જમા કરાવી ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. દૂર કરાયેલા 2,14,175 મતદારો (12.67 ટકા) ને 'અનકલેક્ટેબલ' તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા હતા. આમાં મૃત્યુ પામેલા 55,374 મતદારો, ગેરહાજર 19,525 મતદારો, કાયમી સ્થળાંતર થયેલા 1,25,990 મતદારો અને અન્ય સ્થળે નોંધાયેલા અથવા ફોર્મ પરત ન આપનારા 12,383 મતદારોનો સમાવેશ થાય છે. જો કોઈ મતદારનું નામ મુસદ્દા મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યું હોય અને તેઓ ફરીથી નોંધણી કરાવવા ઈચ્છતા હોય, તો તેઓ ફોર્મ-6 ભરીને અરજી કરી શકે છે. ફોર્મની સંપૂર્ણ ચકાસણી બાદ આવા મતદારોનો આખરી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત, 65,087 મતદારો (3.84 ટકા)'નો મેપિંગ' શ્રેણીમાં આવે છે. તેમના નામ મુસદ્દા મતદાર યાદીમાં સમાવિષ્ટ છે, પરંતુ તેમનું મેપિંગ થયું નથી. સંબંધિત મતદાર નોંધણી અધિકારી દ્વારા તેમને નોટિસ ઇશ્યુ કરીને સુનાવણી અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ 17 ફેબ્રુઆરી 2026ના રોજ આખરી મતદાર યાદીમાં સમાવેશ અંગેનો નિર્ણય લેવામાં આવશે. મતદારોની સુવિધા માટે અને એક મતદાન મથક પર 1200થી વધુ મતદારો ન રહે તે હેતુસર મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. આ પુનર્ગઠનના પરિણામે જિલ્લામાં મતદાન મથકોની સંખ્યા 1848થી વધારીને 2812 કરવામાં આવી છે, જેમાં 165 નવા મતદાન મથકોનો ઉમેરો થયો છે. મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થયાની તારીખથી 18 જાન્યુઆરી સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકાશે. આ અરજીઓની ચકાસણી અને નિકાલ 10 ફેબ્રુઆરી 2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આખરી મતદાર યાદી 17 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રસિદ્ધ થશે. SIR-2026ની ડ્રાફ્ટ યાદી અંગે જાણવા માગો છો એ બધું જ ગ્રાફિક્સના માધ્યમથી જાણો https://electoralsearch.eci.gov.in/ પર જઈને પણ તમારું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં છે કે નહીં તે તપાસી શકાશે. આ વેબસાઇટમાં નામ ચેક કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિઝર સમજાવી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 9:16 pm

બોટાદ બાર એસો. ચૂંટણીમાં મનોજસિંહ યાદવનો વિજય:પેનલ પણ 24 મતોથી જીતી, 7માંથી 3 ઉમેદવારો બિનહરીફ જાહેર

બોટાદ જિલ્લા બાર એસોની ચૂંટણીમાં મનોજસિંહ યાદવ પ્રમુખ તરીકે 24 મતોથી વિજયી બન્યા છે. તેમની સંપૂર્ણ પેનલ પણ આ ચૂંટણીમાં જીતી છે. પ્રમુખ પદ માટે કુલ 7 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 3 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. બાકીના 4 ઉમેદવારો વચ્ચે મતદાન યોજાયું હતું. કુલ 272 મતદારોમાંથી 525 મતદારોએ મતદાન કર્યું હતું. મતગણતરી બાદ મનોજસિંહ યાદવને 138 મત મળ્યા હતા, જેના કારણે તેમણે ૨૪ મતોની સરસાઈથી વિજય મેળવ્યો.ચૂંટણી પરિણામો જાહેર થતાં જ બોટાદ બાર એસોના વકીલ મંડળ દ્વારા વિજયી સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નવનિયુક્ત પ્રમુખ મનોજસિંહ યાદવે જણાવ્યું હતું કે, આગામી સમયમાં બોટાદ બાર એસો અને વકીલોના હિત માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવશે. તેમણે રાજ્યમાં અત્યાર સુધી ન લેવાયા હોય તેવા નિર્ણયો બોટાદના વકીલોના હિતમાં લેવાની ખાતરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 9:11 pm

રોગચાળો બેકાબૂ બન્યો:એક અઠવાડિયાથી કમળાની સારવાર લેતા હેડ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું

રાજકોટ શહેરનાં પોલીસ હેડ કવાર્ટરમાં રહેતા જયપાલસિંહ મંગલસિંહ ઝાલા (ઉ.વ.54)ને છેલ્લા એક અઠવાડિયાથી કમળો થયો હતો જેથી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું આજે સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક જયપાલસિંહને સંતાનમા એક દીકરો અને એક દીકરી છે તેમજ પોતે ત્રણ બહેનનાં એકનાં એક ભાઇ હતા તેમજ તેઓ અગાઉ ડોગ સ્કવોડમાં ફરજ બજાવતા અને હાલ એસઆરપીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેઓનું મૂળ વતન મોરબી રોડ પર આવેલુ રતનપર ગામ છે. જયપાલસિંહનાં મોતથી સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ મામલે પ્રદ્યુમનનગર પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યોમેટોડામાં આસ્થા વિલેજ ગેઇટમાં જલારામ પાર્ક બ્લોક નં.8માં રહેતા ચેતન અશોકભાઇ પાચાણી (ઉ.વ.38)નામના યુવાને ગઇકાલે સાંજે રેસકોર્ષ નજીક ગેલેકસી સીનેમા પાસે શેરીમાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતનો પ્રયાસ કરનાર ચેતન પાચાણીનુ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ચેતન મજૂરી કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. તેણે અગાઉ નાણાની જરૂરીયાત ઉભી થતા 3-4 લોકો પાસે રૂ.5 લાખ વ્યાજે લીધા હતા. બાદમાં આ વ્યાજખોરો વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા જેથી કંટાળી તેમણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યુ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કટારીયા ચોકડી નજીક હિટ એન્ડ રનઢેબર રોડ પર જુના ગુરુકુળ પાસે માટેલ સોસાયટી શેરી નં.6માં રહેતો મિલન મહેશભાઇ ગોડેશ્ર્વર (ઉ.વ.19) નામનો યુવાન કટારીયા ચોકડી પાસે આવેલ પ્લાયવુડના ગોડાઉનમાં કામ કરતો હતો અને ગઇકાલે રાત્રે ગોડાઉનથી શેઠ માટે જમવાનુ લેવા બાઇક લઇ જતો હતો ત્યારે કટારીયા ચોકડી નજીક મુરલીધર પાન વાળી શેરીમાં પહોંચતા પુરપાટ ઝડપે આવતો છોટાહાથીનો ચાલક બાઇકને ઠોકરે ચડાવી નાશી છુટ્યો હતો. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આ અકસ્માતમાં મિલનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયા તેનુ સારવાર દરમિયાન મોડી રાત્રે મોત નિપજ્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રથામિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની જાણ થતા પરિવારજનો પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા. મૃતક મિલનના પિતા બાપાસિતારામ ચોકમાં મિલન ગોલા નામે ધંધો કરે છે. યુવાન પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 9:10 pm

બોત્સ્વાનાના રાષ્ટ્રપતિ જાન્યુઆરીમાં સુરતની મુલાકાતે:ડાયમંડ સેક્ટરમાં મોટા રોકાણની શક્યતા, ખનિજ અને ઊર્જા મંત્રી બોગોલો જોય કેનેવેન્ડોએ ડાયમંડ બુર્સની પ્રશંસા કરી

ભારત અને બોત્સ્વાના વચ્ચેના વ્યાપારિક સંબંધો હવે એક નવી ઊંચાઈએ પહોંચવા જઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત 'Global Village 2026' માં મુખ્ય મહેમાન તરીકે બોત્સ્વાનાના રાષ્ટ્રપતિ એડવોકેટ દુમા ગીડિયોન બોકો તેમના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે 22થી 25 જાન્યુઆરી, 2026 દરમિયાન સુરતની મુલાકાત લેશે. અગાઉ બોત્સ્વાનાના ખનિજ અને ઊર્જા મંત્રી બોગોલો જોય કેનેવેન્ડોએ ચેમ્બર અને GJEPCની મુખ્ય કચેરીની મુલાકાત લીધી અને સુરત ડાયમંડ બુર્સ વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરી હતી હીરા અને ટેક્સટાઈલ ક્ષેત્રે નવી ભાગીદારીવિશ્વમાં કાચા હીરાના સૌથી મોટા ઉત્પાદક દેશોમાંના એક એવા બોત્સ્વાના અને વિશ્વના હીરા કટિંગ-પોલિશિંગ હબ સુરત વચ્ચે સીધા વ્યાપારિક સેતુ બાંધવા માટે આ મુલાકાત અત્યંત મહત્વની છે. 10-14 નવેમ્બર દરમિયાન ચેમ્બરનું એક પ્રતિનિધિમંડળ બોત્સ્વાના ગયું હતું, જેના ફળસ્વરૂપે આ ઐતિહાસિક મુલાકાત નિશ્ચિત થઈ છે. સુરત–ગેબરોન ટ્વીન સિટી પ્રસ્તાવઆ મુલાકાત દરમિયાન સુરત અને ગેબરોન વચ્ચે ટવીન સિટી માટે સમજૂતી થવાની પુષ્કળ સંભાવના છે. જેમાં અનેક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરાશે, ખાસ હીરા ઉદ્યોગમાં ટેકનોલોજી અને ટેલેન્ટ એક્સચેન્જ, મેડિકલ ટુરિઝમ અને શિક્ષણ ક્ષેત્રે સહયોગ, બિઝનેસ ડેલિગેશનની નિયમિત આપલે થશે. કેપી ગ્રુપ દ્વારા 36,000 કરોડનું મેગા રોકાણઆ સહયોગની પ્રથમ મોટી સફળતા તરીકે સુરતની કેપી ગ્રુપે બોત્સ્વાનામાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 4 બિલિયન USD આશરે 36,000 કરોડના રોકાણ માટે MoU કર્યા છે.આ પ્રોજેક્ટ દ્વારા બોત્સ્વાનામાં 5 GW સોલાર એનર્જી પ્લાન્ટ સ્થાપવામાં આવશે.આ પ્રોજેક્ટ 2030 સુધીમાં પૂર્ણ થશે, જેનાથી 1,00,000 ઘરોને વીજળી મળશે.પ્રોજેક્ટ દરમિયાન 7,000 અને ત્યારબાદ 1,500 થી વધુ લોકોને રોજગારી મળશે.કેપી ગ્રુપ બોત્સ્વાનાના નાગરિકોને વર્ષે 30 સ્કોલરશિપ પણ આપશે. જાન્યુઆરીમાં યોજાનાર આ કાર્યક્રમથી દક્ષિણ ગુજરાત વૈશ્વિક સહયોગનું મુખ્ય કેન્દ્ર બની જશેબોત્સ્વાનાના ઊર્જા મંત્રીએ સુરતની મુલાકાત લઈ રાષ્ટ્રપતિના આગમન અને કાર્યક્રમોને આખરી ઓપ આપ્યો હતો. જાન્યુઆરીમાં યોજાનાર આ કાર્યક્રમથી દક્ષિણ ગુજરાત વૈશ્વિક સહયોગનું મુખ્ય કેન્દ્ર બની જશે. આ સાથે ગયા મહિને બોત્સ્વાનામાં GJEPC (જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ)ની સત્તાવાર મુલાકાત બાદ ભારત-બોત્સ્વાના હીરા સહયોગ વધુ મજબૂત બન્યો છે. આ જ ક્રમમાં, બોત્સ્વાનાના ખનિજ અને ઊર્જા મંત્રી બોગોલો જોય કેનેવેન્ડોએ ભારતીય હીરા ઉદ્યોગ સાથે વિસ્તૃત ચર્ચા કરવા માટે GJEPCની પ્રાદેશિક કચેરી, સુરતની મુલાકાત લીધી હતી. વૈશ્વિક સંજોગોમાં બંને દેશોએ વધુ તાલમેલ અને વિશ્વાસ સાથે આગળ વધવાની જરૂર છેઉલ્લેખનીય છે કે, તાજેતરના બોત્સ્વાના પ્રવાસ દરમિયાન GJEPC દ્વારા ભારત-બોત્સ્વાના હીરા સહયોગને મજબૂત કરવા પર આધારિત એક વિસ્તૃત 'વ્હાઇટ પેપર' બોત્સ્વાનાના રાષ્ટ્રપતિને સોંપવામાં આવ્યું હતું, જેને ત્યાંની સરકાર દ્વારા વ્યાપક પ્રશંસા મળી હતી. સુરત આગમન પર મંત્રી અને તેમના પ્રતિનિધિમંડળનું GJEPC ગુજરાતના પ્રાદેશિક અધ્યક્ષ જયંતિ સાવલિયાએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે વૈશ્વિક હીરા મૂલ્ય શૃંખલામાં ભારત અને બોત્સ્વાનાની વ્યૂહાત્મક ભાગીદારી પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, વર્તમાન પડકારજનક વૈશ્વિક સંજોગોમાં બંને દેશોએ વધુ તાલમેલ અને વિશ્વાસ સાથે આગળ વધવાની જરૂર છે. હીરા ઉત્પાદકોને કાચા હીરા સીધા જ પ્રાપ્ત થાયજયંતિ સાવલિયાએ વિશેષ રૂપે બોત્સ્વાનાથી ભારતના MSME હીરા ઉત્પાદકોને કાચા હીરા સીધા જ પ્રાપ્ત થાય તે માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂક્યો હતો. આ બેઠક દરમિયાન સુરત ઇન્ટરનેશનલ ડાયમંડ સેન્ટરના સ્પેશિયલ નોટિફાઇડ ઝોનના ડાયરેક્ટર હિતેશ શાહે પ્રતિનિધિમંડળને કાર્યપદ્ધતિથી માહિતગાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, આ સિસ્ટમ માઇનિંગ કંપનીઓ માટે પારદર્શક, નિયમોનું પાલન કરતી અને સ્પર્ધાત્મક કિંમતો સુનિશ્ચિત કરે છે. વ્યૂહાત્મક અને સંતુલિત આયોજન સાથે આગળ વધારવું પડશેSIDCના અધ્યક્ષ તરીકે જયંતિ સાવલિયાએ માહિતી આપી હતી કે સુરત SNZ-SIDCમાં અત્યાર સુધીમાં 25થી વધુ કાચા હીરાના નિદર્શના કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે. તેમણે બોત્સ્વાનાની માઇનિંગ કંપનીઓને સુરતમાં વધુ વાર આવા કાર્યક્રમો યોજવા માટે પ્રોત્સાહિત કરવા વિનંતી કરી હતી. મંત્રી બોગોલો જોય કેનેવેન્ડોએ સુરત ડાયમંડ બુર્સ વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરી હતી અને સુરતમાં કાચા હીરાના સીધા વેપાર અંગેના GJEPCના પ્રસ્તાવ પર હકારાત્મક વલણ દર્શાવ્યું હતું. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે પ્રવર્તમાન વૈશ્વિક બજારની સ્થિતિને જોતા આવા કોઈપણ પગલાંને પરસ્પર લાભ સુનિશ્ચિત કરવા માટે વ્યૂહાત્મક અને સંતુલિત આયોજન સાથે આગળ વધારવું પડશે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 8:55 pm

આણંદમાં 2.31 લાખ મતદારોના નામ કપાયા:15.80 લાખ મતદારોનો મુસદ્દા મતદારયાદીમાં સમાવેશ, 18 જાન્યુઆરી સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરી શકાશે

આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આજે મુસદ્દા મતદારયાદી જાહેર કરી હતી. તેમણે જણાવ્યું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા 27 ઓક્ટોબર, 2025ના રોજ ગુજરાત રાજ્યમાં 1 જાન્યુઆરી, 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો હતો. આણંદ જિલ્લામાં 28 ઓક્ટોબર, 2025થી આ પ્રક્રિયા શરૂ થઈ હતી. 27 ઓક્ટોબર, 2025ની સ્થિતિએ આણંદ જિલ્લાના કુલ 7 વિધાનસભા મતદાર વિભાગમાં 18,12,327 મતદારો નોંધાયેલા હતા. ફોર્મ વિતરણ, પરત લેવા અને ડિઝીટાઇઝેશનની પ્રક્રિયા 14 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થઈ હતી. આ કામગીરીના અંતે, 18,12,327 મતદારો પૈકી 15,80,547 મતદારોનો મુસદ્દા મતદારયાદીમાં સમાવેશ કરાયો છે, જ્યારે 2,31,780 વ્યક્તિઓના નામ કમી કરવામાં આવ્યા છે. કમી કરાયેલા 2,31,780 મતદારોમાં 70,254 મૃત્યુ પામેલા, 41,233 ગેરહાજર અથવા સંપર્ક ન થઈ શકેલા, 98,211 કાયમી ધોરણે અન્ય સ્થળે સ્થળાંતરિત થયેલા, 20,007 અન્ય જગ્યાએ મતદાર તરીકે નોંધાયેલા અને 2,075 ફોર્મ પરત ન મળેલા મતદારોનો સમાવેશ થાય છે. આ કમી બાદ, મુસદ્દા મતદારયાદીમાં 15,80,547 મતદારો બાકી રહ્યા છે. મતદાન મથકોના પુનર્ગઠન બાદ, આણંદ જિલ્લામાં અગાઉના 1772 મતદાન મથકોમાં નવા 155 મતદાન મથકોનો ઉમેરો થતા, હવે કુલ 1927 મતદાન મથકો કાર્યરત થયા છે. મુસદ્દા મતદારયાદી આણંદ જિલ્લા કલેક્ટર કચેરી, તમામ મતદાર નોંધણી અધિકારી/મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીઓ અને બૂથ પર જાહેર કરવામાં આવી છે. મતદારો તેમાં પોતાનું નામ ચકાસી શકશે. પરત ન મળેલા ફોર્મ્સની યાદી ગ્રામ પંચાયત અને નગરપાલિકા કચેરીઓ ખાતે પણ ઉપલબ્ધ છે. આ પ્રસિદ્ધિ અંગે માન્ય રાજકીય પક્ષો સાથે એક બેઠક પણ યોજાઈ હતી. જેમાં તેમને મુસદ્દા મતદારયાદીની હાર્ડ કોપી (ફોટો સાથે) અને સોફ્ટ કોપી (ફોટા વગરની) તેમજ અનકલેક્ટેબલ ગણતરી ફોર્મ્સની યાદી વિનામૂલ્યે આપવામાં આવી હતી. મુસદ્દા મતદારયાદી સંબંધિત હક્ક-દાવા અને વાંધા અરજીઓ 19 ડિસેમ્બર, 2025 થી 18 જાન્યુઆરી, 2026 સુધી રજૂ કરી શકાશે. કોઈપણ મતદાર કે નાગરિક પોતાના નામનો સમાવેશ કરવા અથવા નામ કમી કરવા સંબંધિત અરજીઓ નિયત મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી ખાતે રજૂ કરી શકશે. તા.19/12/2025 થી તા.10/02/2026 દરમ્યાન નોટીસ ઈસ્યુ કરવી, સુનાવણી અને ચકાસણી, ગણતરી ફોર્મ પર નિર્ણય તથા સાથે સાથે મતદાર નોંધણી અધિકારી દ્વારા હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવશે. આ સમયગાળા દરમ્યાન મતદારોએ જરૂરી આધાર પુરાવા રજુ કરવાના રહેશે, જે રજુ ન કર્યેથી આખરી મતદારયાદીમાંથી તેઓના નામ નીકળી જશે. ત્યારબાદ તા.17/02/2026 ના રોજ મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવશે. વધુમાં કોઈપણ મતદારને મતદારયાદી અંતર્ગત કોઈપણ માહિતીની જરૂરીયાત હોય તો તેઓ આણંદ જિલ્લાની હેલ્પલાઈન નંબર 1950 પર ઓફિસ સમય દરમિયાન રજાના દિવસો સિવાય કોલ કરી માહિતી મેળવી શકે છે. જો કોઈપણ મતદાર ગણતરી ફોર્મ (EF) ભરવાનું ચૂકી ગયા હોય અથવા નામ મુસદ્દા મતદારયાદીમાં સામેલ નથી. તો તુરંત ફોર્મ નં.6 સ્વ‌‌-ઘોષણાપત્ર સહિત (મતદારયાદીમાં નામ ઉમેરવા માટે) ભરીને જરૂરી પુરાવા સાથે પોતાના બુથ લેવલ ઓફિસર અથવા મતદાર નોંધણી અધિકારીની કચેરી ખાતે જમા કરાવી શકે છે. આ ઉપરાંત voters.eci.gov.in ની સાઇટ ઉપર અથવા voterhelpline application પરથી ઓનલાઇન ફોર્મ નં.6 અને 8 (ડીક્લેરેશન ફોર્મ સહિત) અને ફોર્મ નં.7 ભરી શકે છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લાના તમામ નગરજનોને મતદારયાદીના સઘન સુધારણા કાર્યક્રમની રાષ્ટ્રીય કામગીરીમાં પોતાનો સહકાર આપે એવી અપીલ કરી છે અને તારીખ 1 લી જાન્યુઆરી 2026 ના રોજ જે યુવાઓના 18 વર્ષ પુરા થતા હોય તેઓ પણ મતદાર યાદીમાં નામ નોંધાવી શકે છે. તે માટે તેમણે યોગ્ય પુરાવા રજૂ કરી ફોર્મ ભરવા અનુરોધ કર્યો છે. SIR-2026ની ડ્રાફ્ટ યાદી અંગે જાણવા માગો છો એ બધું જ ગ્રાફિક્સના માધ્યમથી જાણો https://electoralsearch.eci.gov.in/ પર જઈને પણ તમારું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં છે કે નહીં તે તપાસી શકાશે. આ વેબસાઇટમાં નામ ચેક કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિઝર સમજાવી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 8:37 pm

'કોમનવેલ્થની તૈયારી કેવી રીતે કરશો, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધૂળ ખાઈ રહ્યા':નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નાગરિકો માટે શરૂ નહીં, AMCની સામાન્ય સભામાં વિપક્ષ નેતાનો આક્ષેપો

વર્ષ 2030માં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સની અમદાવાદને યજમાની મળી છે અને આગામી 2036 ઓલિમ્પિકને લઈને શહેરને સ્પોર્ટ્સ સિટી બનાવવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવી રહ્યું છે. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને અન્ય ઇન્ટરાસ્ટ્રક્ચર ધૂળ ખાઈ રહ્યા હોય અથવા બંધ હાલતમાં હોવાનો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આજે 19 ડિસેમ્બરના રોજ મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણે મેયર અને કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી કે અમદાવાદને કોમનવેલ્થની યજમાન તો મળી છે પરંતુ ભૂતકાળમાં બનાવેલા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધૂળ ખાઈ રહ્યા છે. 'સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ધૂળ ખાઈ રહ્યા છે 'સાબરમતી રિવરફ્રન્ટ પર NID પાછળ તથા શાહપુરમાં પૂર્વ રિવરફ્રન્ટ પર રૂ. 20 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ધૂળ ખાઈ રહ્યા છે પશ્ચિમ તરફના રિવરફ્રન્ટના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્કેટિંગ રિંગમાં કબૂતરને ચણવા માટે દાણા નાખવામાં આવે છે. જ્યારે શાહપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉપયોગ કરવામાં નથી આવતું. જ્યારે જૂના વાડજ ગામમાં 15 વર્ષ પહેલાં 1 કરોડ રૂપિયાના ખર્ચે સ્કેટિંગ રિંગ બનાવઈ હતી. તેનું હવે નામોનિશાન નથી. આ સિવાય મેમનગર, ચાંદખેડા સહિતના વિસ્તારમાં બનાવવામાં આવેલાં ટેનિસ કોર્ટ મેન્ટેન્સના અભાવે હાલમાં બંધ હાલતમાં છે. 'નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નાગરિકો માટે શરૂ નહીં'વિપક્ષના નેતાએ સામાન્ય સભામાં ફોટો રજૂ કરતા જણાવ્યું હતું કે, જે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે જેમાં કોઈ જગ્યાએ ઘાસ ઊગી ગઈ છે તો કોઈ જગ્યાએ આ ટેનિસ કોર્ટનો ઉપયોગ પાર્કિંગ તરીકે થઈ રહ્યું છે. નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘઘાટન સપ્ટેમ્બર મહિનામાં કરાયું હતું. ત્રણ મહિના વિતી ગયા છતાય હજી સુધી સ્વિમિંગ પૂલ શહીદ અલગ અલગ સુવિધાઓ માટે તેને લોકો માટે ખુલ્લો મૂકાયો નથી. 'કરોડોના ખર્ચે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજી બનાવવામાં આવી રહ્યું છે'વિપક્ષના આક્ષેપોને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે અને હજી બનાવવામાં આવી રહ્યું છે. વિપક્ષ દ્વારા અમારા ધ્યાનમાં સાબરમતી રિવરફ્રન્ટના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચણ નાખવાની ઘટના સહિતના મુદ્દા ધ્યાનમાં લાવ્યા છે. સિક્યોરિટી નહીં હોય એટલે કોઈએ ચણ નાખી દીધું હશે. પણ હવે આવી ઘટના નહીં બને. આ સિવાય વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બીયુ મંજૂરી મળી ગઈ છે. જેથી આગામી દિવસોમાં શરૂ થઈ જશે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 8:37 pm

ભાવનગર મનપાના સોલિડ વેસ્ટ વિભાગનું શહેરના 13 વોર્ડમાં ચેકિંગ:229 વેપારીઓ પાસેથી 67 હજારની દંડની વસૂલાત કરાઈ, શહેરમાં સ્વચ્છતા-પ્લાસ્ટીક નાબુદી ઝુંબેશ

ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજરોજ તા. 19 ડિસેમ્બરના રોજ શહેરના તમામ વોર્ડમાં જુદા જુદા સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જાહેરમાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા, જાહેરમાં ગંદગી કરતા, જાહેરમાં થુંકતા, ડસ્ટબિન ન હોઈ, રજકાનું વેચાણ કરતા વેપારીઓ પાસેથી રૂપિયા 67 હજારના દંડની વસૂલાત કરવામાં આવી હતી. શહેરમાં સ્વચ્છતા-પ્લાસ્ટીક નાબુદી ઝુંબેશભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગની આજરોજ શહેરના 13 વોર્ડમાં સ્વચ્છતા નથા પ્લાસ્ટિક નાબુદી ઝુંબેશ દરમિયાન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 80 વેપારીઓ પાસેથી 89.1 કિલોગ્રામ પ્લાસ્ટિક જપ્ત કરીને કુલ રૂપિયા 38,850 દંડ તથા જાહેરમાં ગંદકી કરતા 59 વેપારીઓને દંડ કરીને કુલ રૂપિયા 13,400 દંડ જાહેરમાં થુંકતા 27 વેપારીઓને દંડીત કરીને રૂપિયા 6,750 નો દંડ જાહેરમાં અને ડસ્ટબીન ન હોવા બાબતે 19 વેપારીઓને દંડીત કરીને તેઓની પાસે રૂ. 3800 દંડ અને રજકાના પુળા વેચાણ કરતા 35 આસામીઓ પાસેથી 132 પૂળાએ જપ્ત કરીને કુલ રૂપિયા 250નો દંડ વસુલ કરવામાં આવેલ. આમ કુલ 229 વેપારીઓ પાસેથી કુલ રૂપિયા 67,050 ના દંડની વસુલાત કરવામાં આવી છે. આમ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાવનગર શહેરને સ્વચ્છ-સુંદર-રળીયામણું બનાવવા માટે શહેરિજનો તમામ નાગરીકો સહયોગ આપવા અનુરોધ કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 8:37 pm

વડોદરા ક્રાઇમ ન્યૂઝ:માંજલપુર વિસ્તારમાં સિક્યોરિટી ગાર્ડે 9 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા, ગુપ્તાંગ બતાવી બીભત્સ માંગણી કરી

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડે 9 વર્ષની નાની બાળકીને અંધારામાં બોલાવી શારીરિક અડપલા કર્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આરોપીએ બાળકીના શરીરે અનુચિત સ્પર્શ કર્યો હતો અને પોતાના ગુપ્તાંગ બતાવીને બીભત્સ માંગણી પણ કરી હતી. આ મામલે માંજલપુર પોલીસે સિક્યુરિટી ગાર્ડ સામે ફરિયાદ દાખલ કરી છે અને તેની શોધખોળ શરૂ કરી છે. આરોપીની ઓળખ રમેશભાઈ મણીભાઈ વણકર (રહે. નવાવાસ, અકોટા ગામ પાછળ, વડોદરા) તરીકે થઈ છે. ઘટના સોસાયટીની સિક્યોરિટી કેબિનની બહાર બની હતી. બાળકીના પરિવારજનોની ફરિયાદના આધારે માંજલપુર પોલીસ સ્ટેશને આરોપી સિક્યોરિટી ગાર્ડ સામે પોક્સો અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ વિસ્તારમાં રોષની લાગણી ફેલાવી છે અને બાળ સુરક્ષા અંગે ફરી એકવાર ચિંતા વ્યક્ત કરી છે. કપૂરાઈ વિસ્તારની સોસાયટીઓમાંથી 3 દિવસમાં 9 વાહનોની ચોરી વડોદરા શહેરમાં વાહન ચોર ટોળકીએ તરખાટ મચાવ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં વાહન ચોરી કરતી હોય છે. ત્યારે રાત્રિના સમયે કપુરાઈ વિસ્તારમાં ત્રણ સોસાયટીમાંથી ત્રણ દિવસમાં 9 વાહનોની ચોરી કરી વાહન ચોર ફરાર થઈ ગયા હતા. વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં તસ્કરો ઘર ફોડ તથા વાહન ચોરી ને અંજામ આપી રહ્યા છે. જ્યારે આ ટોળકી છેલ્લા ઘણા દિવસોથી કપુરાઈ વિસ્તારને બાનમાં લીધો હોય તેવું લાગી રહ્યું છે. કપુરાઈ વિસ્તારમાં આવેલી શિવમ બંગલો અને વ્રજ વિહાર સોસાયટીમાં વાહન ચોર ટોળકી રાત્રિના સમયે ત્રાટકી હતી અને છેલ્લા બે ત્રણ દિવસ દરમિયાન 9 જેટલા વાહનની ચોરીના ફરાર થઈ ગઈ હતી. ઉપરાછાપરી વાહન ચોરીના બનતા બનાવોને લઈને સોસાયટીના રહીશોમાં ગભરાટ ફેલાયો છે. વાહન ચોર ટોળકી સોસાયટીમાં મુકેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ અંગે સોસાયટીના રહીશોએ કપુરાઈ પોલીસમાં ફરિયાદ કરી છે. ત્યારે કપૂરાઈ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું વગેરે મેળવવા તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 8:23 pm

ગીર સોમનાથમાં મતદારયાદી સુધારણાનો ડ્રાફ્ટ જાહેર:જિલ્લામાં 8,97,109 મતદારોનું મેપિંગ પૂર્ણ, 81,471 નામ રદ્દ કરાયા

ગીર સોમનાથ જિલ્લામાં મતદારયાદી સુધારણાનો ખાસ સઘન કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. આ કાર્યક્રમ અંતર્ગત 8,97,109 મતદારોનું વર્ષ 2002ની મતદારયાદી સાથે મેપિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં 81,471 મતદારોને ASD (ગેરહાજર, સ્થળાંતરિત, મૃત્યુ પામેલા) તરીકે ચિહ્નિત કરીને તેમના નામ મતદારયાદીમાંથી રદ્દ કરવામાં આવ્યા છે. ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હીના માર્ગદર્શન હેઠળ આ સુધારણા કાર્યક્રમ 28 ઓક્ટોબર, 2025થી અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય 1 જાન્યુઆરી, 2026ની લાયકાત તારીખના સંદર્ભમાં મતદારયાદીને વધુ ચોક્કસ અને પારદર્શક બનાવવાનો હતો. આ પણ વાંચો : SIR-2026ની ડ્રાફ્ટ યાદી જાહેર, ડ્રાફ્ટ વોટર લિસ્ટમાં તમારું નામ આ 3 સ્ટેપથી ચેક કરો ગીર સોમનાથ જિલ્લામાં 90-સોમનાથ, 91-તાલાલા, 92-કોડીનાર અને 93-ઉના એમ કુલ ચાર વિધાનસભા મતવિસ્તારો આવેલા છે, જે 13-જુનાગઢ સંસદીય મતવિસ્તાર હેઠળ આવે છે. સુધારણા કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં 102 નવા મતદાન મથકોનો ઉમેરો થતાં કુલ 1,144 મતદાન મથકો કાર્યરત બન્યા છે. 1 ઓક્ટોબર, 2025ની સ્થિતિએ જિલ્લામાં કુલ 10,23,785 મતદારો નોંધાયેલા હતા. મતદારયાદીની શુદ્ધતા સુનિશ્ચિત કરવા માટે બૂથ લેવલ અધિકારીઓ (BLO) દ્વારા 4 નવેમ્બર, 2025 થી 7 નવેમ્બર, 2025 દરમિયાન ઘરે ઘરે જઈને ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ફોર્મ પરત મેળવવાની કામગીરી 4 નવેમ્બર, 2025 થી 14 ડિસેમ્બર, 2025 સુધી ચાલી હતી. જે મતદારોના ગણતરી ફોર્મ પરત મળ્યા નહોતા, તેવા 81,471 મતદારોને ASD તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા હતા. આમાં 28,785 મૃત્યુ પામેલા મતદારો, 10,685 કાયમી સ્થળાંતરિત મતદારો, 32,454 ન મળી આવેલા/ગેરહાજર મતદારો, 185 અગાઉથી જ નોંધાયેલા મતદારો અને 8,341 અન્ય કારણોસરના મતદારોનો સમાવેશ થાય છે. સુધારણા પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તૈયાર કરાયેલી ડ્રાફ્ટ મતદારયાદી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી એન. વી. ઉપાધ્યાય દ્વારા વિવિધ રાજકીય પક્ષોના જવાબદારોને સુપ્રત કરવામાં આવી છે. હવે આગામી તબક્કામાં આ ડ્રાફ્ટ યાદી પર દાવો-આક્ષેપોની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરાયેલા આ સઘન સુધારણા કાર્યક્રમથી ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છ, સુધારેલી અને વિશ્વસનીય મતદારયાદી તૈયાર થઈ છે, જે ભવિષ્યની લોકશાહી પ્રક્રિયાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. શું મારે આ માહિતીનો સારાંશ તૈયાર કરવો જોઈએ અથવા આંકડાઓનું કોઈ ટેબલ બનાવી આપવું જોઈએ?

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 8:20 pm

જૂનાગઢ જિલ્લામાં સુધારણા કાર્યક્રમ હેઠળ નવી મતદારયાદી જાહેર.:જૂનાગઢમાં સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 1.50 લાખ મતદારોના નામ કમી થયા બાદ કુલ 11,49,395 મતદારોની યાદી જાહેર.

જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર દ્વારા ભારત સરકારના ચૂંટણી પંચના નિર્દેશાનુસાર હાથ ધરવામાં આવેલા 'ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 ની વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી. કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગો અને મતદાન મથકો પર મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ 19 December 2025 ના રોજ કરી દેવામાં આવી છે. કલેક્ટર અનિલ રાણાવસિયાએ પત્રકાર પરિષદમાં વધુમાં માહિતી આપતા જણાવ્યું કે ભારતીય ચૂંટણી પંચ દ્વારા 27/10/2025 ના જાહેરનામાથી આ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ 22/10/2025 ની સ્થિતિએ જૂનાગઢ જિલ્લામાં કુલ 13,00,344 મતદારો નોંધાયેલા હતા, જે તમામને ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રની સઘન કામગીરીના પરિણામે કુલ 11,49,395 મતદારોના ફોર્મ સફળતાપૂર્વક મેળવીને તેનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે. આ તમામ મતદારોનો સમાવેશ હવે 19/12/2025 ના રોજ પ્રસિદ્ધ થયેલી નવી ડ્રાફ્ટ મતદારયાદીમાં કરવામાં આવ્યો છે. નાગરિકો આ યાદી તમામ મતદાન મથકો, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, જૂનાગઢ મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરી ખાતે પ્રત્યક્ષ જોઈ શકશે. આ સુધારણા કાર્યક્રમ દરમિયાન 1,50,949 મતદારો એવા મળી આવ્યા છે જેઓના ફોર્મ વિવિધ કારણોસર મેળવી શકાયા નથી. કલેક્ટરે આ અંગે સ્પષ્ટતા કરી હતી કે જે મતદારોના અવસાન થયા છે, જેઓ ગેરહાજર છે, કાયમી ધોરણે અન્ય સ્થળે સ્થળાંતરિત થયા છે અથવા જેમના નામ ડુપ્લીકેટ જણાયા છે, તેવા તમામ 1,50,949 નામોને હાલની ડ્રાફ્ટ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જોકે, આવા મતદારો માટે વહીવટી તંત્ર દ્વારા અલગથી A/S/D (Absent, Shifted and Dead) યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી પણ સાર્વજનિક સ્થળો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાઓમાં ચકાસણી માટે ઉપલબ્ધ રહેશે. આ સિવાય મતદારો ઓનલાઈન પોર્ટલ ceo.gujarat.gov.in અને junagadh.nic.in પર પણ પોતાની વિગતો ચકાસી શકશે. મતદાન મથકોના આધુનિકીકરણ અને સરળીકરણ અંગે માહિતી આપતા કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચના નવા નિયમો મુજબ હવે દરેક મતદાન મથક દીઠ વધુમાં વધુ 1200 મતદારોની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ પુનઃગઠન પ્રક્રિયાને કારણે જૂનાગઢ જિલ્લામાં મતદાન મથકોની સંખ્યામાં 101 નો વધારો થયો છે. અગાઉ જિલ્લામાં 1338 મતદાન મથકો હતા, જે હવે વધીને 1439 થયા છે. જેમાં વિધાનસભા મુજબ જોઈએ તો 85-માણાવદરમાં 13, 86-જૂનાગઢમાં 15, 87-વિસાવદરમાં 18, 88-કેશોદમાં 18 અને 89-માંગરોળમાં 37 નવા મથકોની રચના કરવામાં આવી છે. આ વ્યવસ્થાથી મતદારોને ભીડભાડ વગર સરળતાથી મતદાન કરવાની સુવિધા મળશે.કલેક્ટરે આંકડાકીય માહિતી આપતા ઉમેર્યું કે સુધારણા પહેલા જિલ્લામાં કુલ 13,00,344 મતદારો હતા, જેમાં 6,67,900 પુરુષો, 6,32,424 મહિલાઓ અને 20 અન્ય જાતિના મતદારોનો સમાવેશ થતો હતો. સઘન ચકાસણી બાદ હવે ડ્રાફ્ટ યાદીમાં કુલ 11,49,395 મતદારો છે, જેમાં 6,01,396 પુરુષો, 5,47,986 મહિલાઓ અને 13 અન્ય જાતિના મતદારો નોંધાયા છે. આ ભગીરથ કાર્યને પૂર્ણ કરવા માટે 1338 BLOs, 27 મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ અને 5 મુખ્ય મતદાર નોંધણી અધિકારીઓ તેમજ વહીવટી સ્ટાફે દિવસ-રાત જહેમત ઉઠાવી છે. કલેક્ટર અનિલ રાણાવસિયાએ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરી હતી કે, જો કોઈ લાયક મતદારનું નામ આ ડ્રાફ્ટ યાદીમાં જોવા ન મળે, તો તેઓએ ગભરાવાની જરૂર નથી. આવા કિસ્સામાં મતદારોએ સંબંધિત મતદાન મથકના BLO પાસેથી ફોર્મ નંબર 6 અને ઘોષણાપત્ર મેળવીને જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે 19/12/2025 થી 18/01/2026 સુધીમાં જમા કરાવવાના રહેશે. કલેક્ટરે તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક યોજી તેમને આ યાદીની નકલો સુપ્રત કરી છે અને હક્ક-દાવા તથા વાંધા અરજીઓના સમયગાળા અંગે માર્ગદર્શન આપ્યું છે. મતદારોને જો કોઈ નોટિસ મળે તો તેઓએ સુનાવણીમાં સહયોગ આપી પોતાની મતદાર તરીકેની નોંધણી સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 8:19 pm

નવસારીમાં 1.36 લાખ મતદારોના નામ કપાયા:1.01 લાખ મતદારો 'નો મેપિંગ' યાદીમાં, SIR ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 18મી જાન્યુઆરી સુધી વાંધા અરજી કરી શકાશે

કેન્દ્રીય ચૂંટણી પંચના મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR-2026) હેઠળ નવસારી જિલ્લાની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને પત્રકારો સમક્ષ આ યાદી પ્રસિદ્ધ કરી હતી. નવસારી જિલ્લામાં કુલ 10,95,900 મતદારો પૈકી 9,59,337 મતદારોનું ડિઝિટાઈઝેશન પૂર્ણ કરીને ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ કરાયો છે. આ યાદીમાંથી કુલ 1,36,563 મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. જેમાં 17,135 ગેરહાજર, 67,779 સ્થળાંતરિત, 44,202 મૃત્યુ પામેલા, 4,796 ડુપ્લિકેટ અને 2,651 અન્ય કારણોસર નામો રદ કરાયા છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં મતનું મૂલ્ય ઘણું છે, તેથી મતદાર ઓળખપત્ર અનિવાર્ય છે. જો કોઈ મતદારનું નામ યાદીમાં રહી ગયું હોય, તો તેઓ જરૂરી પુરાવા રજૂ કરીને નામનો સમાવેશ કરાવી શકે છે. ડ્રાફ્ટ યાદીમાં સમાવિષ્ટ 9.59 લાખ મતદારો પૈકી 1,01,467 મતદારોની વિગતો 2002ની યાદીમાં ન હોવાથી તેઓ 'નો મેપિંગ' યાદીમાં રહેશે. આવા મતદારો મતદાર નોંધણી અધિકારી સમક્ષ ફોર્મ નંબર-6, બાંહેધરી ફોર્મ અને જરૂરી પુરાવા રજૂ કરીને નામ દાખલ કરાવી શકશે. બીજા તબક્કામાં 'નો મેપિંગ' વાળા મતદારોને ERO/AERO કક્ષાએથી નોટિસ આપી પુરાવા રજૂ કરવા જણાવાશે. નવસારી જિલ્લાના ચાર વિધાનસભા મતવિસ્તારોમાં ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ સુનાવણી સ્થળે હાજર રહેશે. દરરોજ 50 મતદારોની સુનાવણી હાથ ધરવામાં આવશે. આ સુનાવણી જલાલપોર વિધાનસભા માટે તાલુકા પંચાયત કચેરી ખાતે, નવસારી વિધાનસભા માટે તાલુકા પંચાયત કચેરી, લુન્સીકુઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, તાલુકા સેવા સદનના મીટિંગ હોલ, મામલતદાર કચેરી ગણદેવી તેમજ નવસારી શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીઓ ખાતે યોજાશે. ગણદેવી વિધાનસભામાં ચીખલી અને ગણદેવી મામલતદાર કચેરી તેમજ બીલીમોરા નગરપાલિકા ખાતે સુનાવણી થશે, જ્યારે વાંસદા વિધાનસભામાં ખેરગામ અને વાંસદા મામલતદાર કચેરીઓ ખાતે નોટિસની પ્રક્રિયા હાથ ધરાશે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 8:18 pm

1 હજાર CCTV ચેક કર્યા બાદ પણ બાળકી ન મળી:સચિન GIDCમાં એક પછી એક 4 બાળકો ગુમ થતા પોલીસની કામગીરી પર સવાલ, તમામ ધોળા દિવસે લાપતા

સુરતના ઔદ્યોગિક વિસ્તાર સચિન GIDCમાંથી છેલ્લા 10 દિવસથી એક 10 વર્ષની માસૂમ બાળકી ગુમ થવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. રાજ્યમાં એક તરફ નાની બાળકીઓ સાથે દુષ્કર્મ અને હિંસાની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે આ રીતે ધોળા દિવસે બાળકી લાપતા થતા સ્થાનિક રહીશોમાં રોષ અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. 7મી ડિસેમ્બરના રોજ વહેલી સવારે બનેલી આ ઘટનામાં પોલીસ હજુ સુધી કોઈ નક્કર કડી મેળવી શકી નથી. 10 દિવસ પહેલા બાળકી ગુમ થઈ હતીસચિન GIDC પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર ગુમ થયેલી બાળકી એક મજૂર પરિવારની દીકરી છે, જે 7મી ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી ઘર પાસે રમતી વખતે ગુમ થઈ હતી. બાળકીના માતા-પિતા અત્યંત ગરીબ છે અને તેમની દીકરી સાથે કોઈ અણબનાવ ન બની જાય એવી ચિંતામાં દિવસ-રાત વિતાવી રહ્યા છે. દીકરીના ગુમ થયા બાદ તુરંત જ તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ હજુ સુધી તેમને માત્ર આશ્વાસન જ મળ્યું છે. ઘર પાસેથી રમતા-રમતા ક્યાંક નીકળી ગઈ હતીબાળકી કઈ રીતે ગુમ થઈ તેની તપાસ ચાલુ છે. ઘટનાના દિવસે બાળકીની નાની ઘરે જવાના હતા અને પરિવાર તેમને રેલવે સ્ટેશન મૂકવા ગયો હતો. ત્યાંથી પરત આવ્યા બાદ બાળકી થોડી ઉદાસ દેખાતી હતી અને ત્યારબાદ તે ઘર પાસેથી રમતા-રમતા ક્યાંક નીકળી ગઈ હતી. પોલીસે આ મામલે સવારથી જ તપાસ હાથ ધરી હોવાનો દાવો કર્યો છે. છેલ્લે 45 વર્ષના અજાણ્યા આધેડ સાથે જોવા મળી પોલીસ તપાસમાં એક મહત્વની કડી હાથ લાગી છે કે, બાળકી સુરતથી એક 45 વર્ષના અજાણ્યા આધેડ સાથે જોવા મળી હતી. પોલીસે વિસ્તારના અને સ્ટેશનના લગભગ 1000 જેટલા CCTV ફૂટેજ તપાસ્યા છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે સુરતથી આધેડ સાથે નીકળ્યા બાદ બાળકી આગળ જતાં જબલપુર માટે ટ્રેનમાં એકલી જોવા મળી હતી. આ વ્યક્તિ કોણ હતો અને બાળકી તેની સાથે કેમ ગઈ તે હજુ એક રહસ્ય છે. પોલીસ માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સ પર આધાર રાખીને તપાસ કરી રહી છેપોલીસની તપાસ જબલપુર સુધી પહોંચી છે, પરંતુ ત્યાંથી આગળ બાળકી ક્યાં ગઈ તે અંગે પોલીસ પાસે કોઈ માહિતી નથી. પીઆઈ ગોહિલના જણાવ્યા મુજબ ટેકનિકલ ખામી અથવા સર્વરની સમસ્યાના કારણે સર્વેલન્સમાં મુશ્કેલી આવી રહી છે. હાલ પોલીસ માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સ પર આધાર રાખીને તપાસ કરી રહી છે. ઓગસ્ટ મહિનામાં એક મહિલાના આપઘાત બાદ તેના ત્રણ બાળકો ગુમ થયા હતાસચિન GIDC પોલીસ બાળકીને શોધવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થઈ રહી હોય એવું જણાય છે. આ માત્ર એક જ ઘટના નથી અગાઉ પણ આ વિસ્તારમાં આવી ઘટનાઓ બની છે. ગત ઓગસ્ટ મહિનામાં એક મહિલાના આપઘાત બાદ તેના ત્રણ બાળકો ગુમ થયા હતા, જેમને શોધવામાં પણ પોલીસ હજુ સુધી સફળ રહી નથી. પોલીસની આ ઢીલી કામગીરીને કારણે ગુનેગારો બેખોફ બન્યા હોય એવું લાગી રહ્યું છે. ઓગસ્ટના વણઉકેલ્યા કેસની યાદઆ કેસની સાથે સાથે ઓગસ્ટ માસમાં બનેલી ઘટના પણ પોલીસ માટે પડકારરૂપ છે. 23મી ઓગસ્ટના રોજ એક મહિલાનો મૃતદેહ લટકતી હાલતમાં મળ્યો હતો, પરંતુ તેની સાથે રહેલા 5 વર્ષ, 3 વર્ષ અને દોઢ વર્ષના ત્રણ બાળકો હજુ સુધી મળ્યા નથી. CCTVમાં મહિલા બાળકોને લઈ જતી દેખાયા બાદ આ બાળકો ક્યાં ગાયબ થઈ ગયા તે સચિન GIDC પોલીસ માટે મોટો યક્ષપ્રશ્ન છે. એક પછી એક બાળકો ગુમ થવાની આ ઘટનાઓએ સુરત પોલીસની સક્રિયતા સામે પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 8:15 pm

દીવમાં 65મા મુક્તિ દિવસની ઉજવણી:અમદાવાદ પ્લેન ક્રેશમાં દીવના 14 મૃતકોના પરિવારોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 4 લાખની સહાય, ઇજાગ્રસ્તને 50 હજાર અપાયા

દીવમાં 65મા મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા દીવના 14 મુસાફરોના પરિવારોને ગુજરાતના મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાયના ચેકનું વિતરણ કરાયું. દરેક મૃતકના પરિવારને ₹4 લાખની સહાય આપવામાં આવી હતી. આ ઉપરાંત, અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા વિશ્વાસ રમેશને ₹50 હજારની સહાય મળી હતી. કુલ ₹56.50 લાખની સહાય દીવ કલેક્ટર રાહુલ દેવ બુરાના હસ્તે પીડિત પરિવારોને સુપરત કરવામાં આવી. દીવ પ્રશાસન દ્વારા 65મા મુક્તિ દિવસની ઉજવણી દીવ નગરપાલિકા ગાર્ડનમાં કરવામાં આવી હતી. શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ કાર્યક્રમમાં દીવ કલેક્ટર રાહુલ દેવ બુરા, ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા, બટાલિયનના જવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને દીવના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર રાહુલ દેવ બુરાએ તિરંગો લહેરાવી રાષ્ટ્રગીત સાથે સલામી આપી હતી. પ્રાસંગિક પ્રવચનમાં કલેક્ટરે દીવના ઇતિહાસ અને પોર્ટુગીઝ શાસન વિશે માહિતી આપી હતી, તેમજ દીવના વર્તમાન વિકાસ કાર્યો અંગે પણ જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઇનામ વિતરણ અને દિવ્યાંગો તથા જરૂરિયાતમંદોને સાધન સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું. દીવના ઇતિહાસ પુસ્તકનું વિમોચન પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 8:11 pm

ગાંધીનગર જિલ્લાના 2.15 લાખ મતદારોના નામ રદ:પાંચેય બેઠકો પર ડ્રાફ્ટ યાદીમાં 11.73 લાખનો સમાવેશ, વાંધા-દાવા રજૂ કરવા માટે 18 જાન્યુઆરી સુધીની મુદ્દત

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત આજે ગાંધીનગર જિલ્લાની ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર સુધારણાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે નવા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ 13.89 લાખમાંથી 2.15 લાખ મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. પાંચેય વિધાનસભા બેઠકો પર 13.89 લાખ મતદારો નોંધાયેલાજિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી મેહુલ દવેએ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર સુધારણાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે નવા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લાની દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા અને કલોલ વિધાનસભા બેઠકો પર કુલ 13,89,712 મતદારો નોંધાયેલા હતા. જેમાં 34-દહેગામમાં 2,29,839 મતદારો, 35-ગાંધીનગર દક્ષિણ 4,07,484 મતદારો,36-ગાંધીનગર ઉત્તર 2,55,997 મતદારો,37-માણસા 2,44,821 મતદારો અને 38 -કલોલમાં 2,54,571 મતદારો નોંધાયેલા હતા. 11.73 લાખનો મતદાર ડ્રાફ્ટ યાદીમાં સમાવેશત્યારે ડિજિટલાઈઝેશનની પ્રક્રિયાના અંતે તેમાંથી 11,73,921 મતદારોનો ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ થયો છે. જ્યારે ગેરહાજર, સ્થળાંતર અને મૃત્યુ જેવા વિવિધ કારણોસર કુલ 2,15,791 વ્યક્તિઓના નામ યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ 56,671 નામો મૃત્યુના કારણે કમી થયા છે. મતદાન મથકોમાં નવા 128 મથકોનો ઉમેરો કરાયોવધુમાં કલેકટરે ઉમેર્યું કે,મતદાન પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. જિલ્લામાં અગાઉ હયાત 1333 મતદાન મથકોમાં નવા 128 મથકોનો ઉમેરો કરવામાં આવ્યો છે, જ્યારે 1 મતદાન મથક મર્જ કરવામાં આવ્યું છે. આમ હવે આગામી ચૂંટણીઓ માટે ગાંધીનગર જિલ્લામાં કુલ 1460 મતદાન મથકો અસ્તિત્વમાં આવ્યા છે. 18 જાન્યુઆરી સુધી હક્ક-દાવા કે વાંધા અરજીઓઆ પ્રસિદ્ધ થયેલી મસદ્દા યાદી અંગે કોઈ પણ મતદાર પોતાના હક્ક-દાવા કે વાંધા અરજીઓ 18 જાન્યુઆરી 2026 સુધી રજૂ કરી શકશે. જો કોઈ મતદારનું નામ યાદીમાં ન હોય તો તેઓ 'ફોર્મ નં. 6' ભરીને નામ ઉમેરાવી શકે છે. આ અરજીઓના નિકાલ બાદ 17 ફેબ્રુઆરી 2026ના રોજ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.કોઈ પણ માહિતી માટે નાગરિકો હેલ્પલાઈન નંબર 1950 પર કોલ કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 8:08 pm

મહેસાણામાં 11 લાખથી વધુ નાગરિકો ધરાવે છે આયુષ્યમાન કાર્ડ:PMJAY અંતર્ગત જુલાઈ, 2024થી અત્યાર સુધીમાં 87,673 ક્લેમમાં 196 કરોડથી વધુની સહાય ચૂકવાઈ

ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોંઘી સારવારના કારણે દેવાના બોજ તળે ન દબાય તે માટે સરકારની સંવેદનશીલ શાસન વ્યવસ્થાએ ‘આયુષ્માન કાર્ડ’ રૂપી રક્ષાકવચ પૂરું પાડ્યું છે. મહેસાણામાં શાસનની આ પ્રતિબદ્ધતાના પરિણામે 11 જુલાઈ, 2024થી અત્યાર સુધીમાં 87,673 ક્લેમ અંતર્ગત રૂ. 1,96,કરોડથી વધુની રકમ ખર્ચીને હજારો નાગરિકોને વિનામૂલ્યે શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવી છે. 70 વર્ષથી વધુ વયના 90282 વડીલો માટે ખાસ 'વય વંદના કાર્ડ' મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં લાખો લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 11,44,630 લાભાર્થીઓ આયુષ્માન કાર્ડ ધરાવે છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોની સુખાકારી માટે સરકારની નવી પહેલ અંતર્ગત જિલ્લાના 70 વર્ષથી વધુ વયના 90282 વડીલોને ખાસ 'વય વંદના કાર્ડ' આપવામાં આવ્યા છે, જેથી વૃદ્ધાવસ્થામાં તેમની સારવારની ચિંતા દૂર થઈ શકે. નાગરિકોની ફીમાં ઝડપી અને નિઃશુલ્ક સારવાર જિલ્લામાં આરોગ્ય સેવાઓનું નેટવર્ક પણ ખૂબ મજબૂત છે. હાલમાં મહેસાણામાં પ્રાઇવેટ હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલો આ યોજના હેઠળ કાર્યરત છે, જ્યાં નાગરિકોને ઝડપી અને નિઃશુલ્ક સારવાર મળી રહી છે. આમ, આયુષ્માન યોજના મહેસાણાના છેવાડાના માનવી માટે ખરા અર્થમાં 'જીવનરક્ષક' સાબિત થઈ રહી છે

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 8:05 pm

રાજ્યના 119 PIને DSP તરીકે પ્રમોશન મળશે:અધિકારીઓની ખાતાકીય, કોર્ટ કેસ અને વિજિલન્સ તપાસની વિગતો મગાવાઈ, જાણો કયા કારણથી અટકી શકે છે બઢતી

રાજ્ય પોલીસ દળમાં મહત્વની બઢતી પ્રક્રિયા અંતર્ગત વર્ગ-2ના PI (બિન હથિયારી)ની વર્ગ 1 DSP તરીકે બઢતી માટે પસંદગીયાદી તૈયાર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન 119 PI અધિકારીઓની ખાતાકીય તપાસ, કોર્ટ કેસ, વિજિલન્સ તપાસ તેમજ શિક્ષાની વિગતો મોકલવા સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે. અધિકારીઓના શિસ્ત સંબંધિત પાસાઓનું સુક્ષ્મ મૂલ્યાંકનસરકારી સુત્રોના જણાવ્યા મુજબ બઢતી માટે યોગ્યતા નક્કી કરતી વખતે અધિકારીઓની સેવા નોંધ, વર્તણૂક અને શિસ્ત સંબંધિત પાસાઓનું સુક્ષ્મ મૂલ્યાંકન કરવામાં આવે છે. આ કારણે સંભવિત બઢતી પાત્ર અધિકારીઓ સામે કોઈપણ પ્રકારની ચાલુ કે પૂર્ણ થયેલી તપાસ, કેસ અથવા શિસ્તભંગની કાર્યવાહી અંગે સંપૂર્ણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. અધિકારી સામે તપાસ અથવા કેસ ચાલુ હોવાથી બઢતી અટકાવાશેવિભાગીય સૂત્રોનું કહેવું છે કે, તમામ જરૂરી વિગતો પ્રાપ્ત થયા બાદ જ પસંદગી સમિતિ દ્વારા અંતિમ પસંદગીયાદી તૈયાર કરવામાં આવશે. જો કોઈ અધિકારી સામે ગંભીર પ્રકારની તપાસ અથવા કેસ ચાલુ હોવાનું સામે આવશે તો તેની બઢતી અટકાવવામાં આવી શકે છે અથવા મામલો ક્લિયર થાય ત્યાં સુધી તેને પ્રતીક્ષા યાદીમાં રાખવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્ય પોલીસ દળમાં DSP (બિન હથિયારી) પદે નવી નિમણૂકો થવાની શક્યતા છે. જેનાથી વહીવટી અને કાયદો-વ્યવસ્થાની કામગીરીને વધુ મજબૂતી મળશે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 8:05 pm

ગોધરા સિવિલમાં 28 વર્ષીય યુવાનની સફળ સર્જરી:થાપાના હાડકાના સડાથી પીડાતા યુવાનની સર્જરી બાદ 3 ઇંચ ટૂંકો પગ સરખો થયો

ગોધરા સિવિલ હોસ્પિટલના આર્થોપેડિક સર્જન ડૉ. અભિરાજ પટેલ અને તેમની ટીમે એક 28 વર્ષીય યુવાનના થાપાના સાંધાનું સફળ હિપ રિપ્લેસમેન્ટ કર્યું છે. આ યુવાન છેલ્લા પાંચ વર્ષથી થાપાના હાડકાના સડાથી પીડાતો હતો અને ચાલવા-ફરવામાં અસમર્થ હતો. યુવાન AVN ગ્રેડ-4 નામની બીમારીથી ગ્રસ્ત હતો. આ સ્થિતિમાં થાપાના હાડકાના ગોળાકાર ભાગને લોહી મળતું બંધ થઈ જાય છે, જેના કારણે હાડકું અંદરથી કોહવાઈને બેસી જાય છે. આના પરિણામે દર્દીનો એક પગ બીજા પગ કરતાં આશરે ત્રણ ઇંચ ટૂંકો થઈ ગયો હતો અને થાપાનો સાંધો સંપૂર્ણપણે જામ થઈ ગયો હતો. છેલ્લા પાંચ વર્ષથી દર્દી અસહ્ય દુખાવો સહન કરતો હતો. તે ટેકા વગર ચાલી શકતો ન હતો અને પગ ટૂંકો હોવાથી ભારે લંગડાશ અનુભવતો હતો. સામાન્ય દવાઓ કે કસરતથી તેને કોઈ રાહત મળી ન હતી. યુવાનની નાની ઉંમર હોવાથી આ કેસ તબીબો માટે એક મોટો પડકાર હતો. ડૉ. અભિરાજ પટેલે અત્યંત જટિલ ગણાતી ટોટલ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી. આ ઓપરેશનમાં માત્ર થાપાનો સાંધો જ બદલવામાં આવ્યો નથી, પરંતુ કુશળતાપૂર્વક પગની લંબાઈ વધારીને ત્રણ ઇંચનો તફાવત પણ દૂર કરવામાં આવ્યો. ઓપરેશનના બીજા જ દિવસે દર્દીને વૉકરની મદદથી ચલાવવામાં આવ્યો હતો. હવે દર્દીના બંને પગ સરખા થઈ ગયા છે અને તેને દુખાવામાં સંપૂર્ણ રાહત મળી છે. ડૉ. અભિરાજ પટેલે જણાવ્યું કે, નાની ઉંમરે જ્યારે થાપાના હાડકાનો સડો છેલ્લા સ્ટેજ પર પહોંચી જાય, ત્યારે હિપ રિપ્લેસમેન્ટ સર્જરી આશીર્વાદરૂપ બને છે. યોગ્ય ટેકનિકથી કરાયેલી આ સર્જરી બાદ દર્દી ફરીથી પોતાના વ્યવસાય અને સામાન્ય જીવનમાં પરત ફરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ડૉ. અભિરાજ પટેલે અગાઉ જિલ્લામાં પ્રથમ વખત 3D ટેકનોલોજીથી ઘૂંટણનું ઓપરેશન પણ સફળતાપૂર્વક કર્યું છે. સિવિલ હોસ્પિટલના સત્તાધીશો અને સ્ટાફે આ સફળતા બદલ ડૉક્ટરની ટીમને અભિનંદન પાઠવ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 8:05 pm

ભાવનગર ક્રિમિનલ બાર એસો.ના પ્રમુખ પદે અનિલસિંહ જાડેજાનો વિજય:ભાજપ શિક્ષણ સમિતિના સભ્ય હિરેન ધાંગ્રધરીયા ખજાનચી પદની ચૂંટણી હાર્યા, જાણો કોને કેટલા વોટ મળ્યા

ભાવનગર બાર એસોસીએશન અને ભાવનગર ક્રિમીનલ બાર એસોસીએશનના હોદ્દેદારોની ચુંટણી આજરોજ યોજાઈ હતી અને શાંતિપૂર્ણ મહાલોમાં મતદાન પૂર્ણ થયું હતું, ત્યારબાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે અનિલસિંહ જાડેજા જંગી બહુમતીથી વિજય થયા હતા, જ્યારે ખજાનચીપદ માટે ભાજપના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચાલુ સભ્યની હાર થઈ હતી. જ્યારે ભાવનગર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે હિરેન જાની બિનહરીફ જાહેર થયા છે. હિરેન જાની પ્રમુખ પદે ત્રીજી વખત બિનહરીફ જાહેરઅગાઉ ભાવનગર બાર એસોસીએશનના હોદેદારોની ચુંટણી દરમ્યાન ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસે પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દેદારોની બીનહરીફ ચુંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ભાવનગર બાર એસોસીએશનના પ્રમુખ પદે ત્રીજી વખત બિનહરીફ અને સાતમી ચુંટાઈ આવતા હિરેન જાનીને ચુંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતાં. તેજ રીતે ઉપપ્રમુખ પદે હિતેશ શાહ પણ બીનહરીફ ચુંટાયા છે, હિતેશ શાહ કે જેઓ અલગ અલગ હોદા ઉપર 20 વખત તેમજ ઉપપ્રમુખ તરીકે 17 વખત ચુંટાયેલા છે. આ ઉપરાંત મહિલા પ્રતિનિધિ તરીકે અરૂણાબેન ચૌહાણ બીજી વખત બીનહરીફ ચુંટાઈ આવ્યા છે, આ ઉપરાંત બાર એસોસીએશનના 23 જેટલા એક્ઝીક્યુટીવ સભ્યોને બિનહરીફ ચુંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. અમિત જાનીને 148 મતો અને હિરેન ધાંગ્રધરીયાને 97 મતો મળ્યા હતાજ્યારે ભાવનગર બાર એસો.ના બે મંત્રીપદ માટે ભાવેશકુમાર બધેકા, જીજ્ઞેશ આસ્તિક, કલ્પેશ વ્યાસ, મનદિપ વ્યાસ, મુકેશ સોજીત્રા વચ્ચે ચુંટણી જંગ જામ્યો હતો, ભાવેશકુમાર બધેકા 49 મતો, જીજ્ઞેશ આસ્તિક 150 મતો, કલ્પેશ વ્યાસ 95 મતો, મનદિપ વ્યાસ 38 મતો તથા મુકેશ સોજીત્રા 74 મતો મળ્યા હતા. જેમાંથી જીજ્ઞેશ આસ્તિક, કલ્પેશ વ્યાસની જીત થઈ હતી, તેમજ એક ખજાનચીપદ માટે અમીત જાની, હિરેન ઘાંગઘ્રીયા વચ્ચે ચુંટણી જંગ જામ્યો હતો. જેમાંથી અમિત જાનીને 148 મતો અને હિરેન ધાંગ્રધરીયાને 97 મતો મળ્યા હતા, ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના ભાજપ શિક્ષણ સમિતિના સભ્ય ચાલુ સભ્ય હિરેન ધાંગ્રધરીયાની હાર થઈ હતી. ક્રિમિનલ બાર એસો.ના નવા પ્રમુખ તરીકે અનિલસિંહ જાડેજાનો જંગી બહુમતીથી વિજય તેમજ ભાવનગર ક્રિમીનલ બાર એસોસીએશનના પ્રમુખ સહિતના તમામ હોદ્દેદારો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને પ્રમુખપદ માટે અનિલસિંહ જાડેજા અને કિશનભાઈ મેર વચ્ચે ચુંટણી જંગ જામ્યો હતો અનિલસિંહ જાડેજા 249 મતો અને કિશનભાઈ મેર 192 મતો મળ્યા હતાં. આમ, ક્રિમિનલ બાર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે અનિલ સિંહ જાડેજાનો જંગી બહુમતીથી વિજય થયો હતો, જાણો કોનો કેટલા મત મળ્યાતેમજ ઉપ પ્રમુખપદ માટે બેરડીયા ભગીરથ 66 મતો, ડાભી પ્રેમજીભાઈ 157 મતો મળ્યો , ગોહિલ જયદેવસિંહ 211 મતો મળ્યા, રાઠોડ દિનેશ 109 મતો મળ્યા હતા, જેમાંથી ડાભી પ્રેમજીભાઈ તથા ગોહિલ જયદેવસિંહ ઉપપ્રમુખ માટે ચૂંટાયા હતા, બે મંત્રીપદ માટે ચાવડા વિજયકુમાર 145 મતો મળ્યા, દુબલ નિધિ 162 મતો મળ્યા, ગૌસ્વામી ભારતગીરી 92 મતો મળ્યા, કંટારીયા કિશોરભાઈ 180 મતો મળ્યા, સરવૈયા જયશ્રી 138 મતો મળ્યા હતા જેમાંથી કંટારીયા કિશોર તથા દુબલ નિધિ ચૂંટાયા હતા, તેમજ ખજાનચી પદ માટે કાલવા મહંમદરઉફ 90 મતો મળ્યા, રાઠોડ મનિષ 109 મતો મળ્યા, રાણા ચંદ્રસિંહ 184 મતો મળ્યા, મકવાણા સોનલ 36 મતો મળ્યા હતાં. જેમાંથી રાણા ચંદ્રસિંહ ચૂંટાયા હતા. ભાવનગર બાર એસોસીએશનની ચુંટણી અધિકારી તરીકે ધર્મેન્દ્રસિંહ ચુડાસમા અને ભાવનગર ક્રિમીનલ બાર એસોસીએશનના ચુંટણી અધિકારી તરીકે એ.ડી. જોષી સેવા આપી હતી.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 8:04 pm

મહેસાણા જિલ્લામાં 1.94 લાખ મતદારોના નામ કમી:15.97 લાખ મતદારોનું ડિજિટલાઈઝેશન થયુ,નામ ના હોય તો વાંધા-દાવાની પ્રક્રિયા જાણો

ભારતના ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર 1જાન્યુઆરી 2026ની લાયકાત તારીખને આધારે મહેસાણા જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારા પ્રક્રિયા અમલમાં મુકાઈ છે. આ અંગે મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિની અધ્યક્ષતામાં તેમજ ચૂંટણી અધિકાર અભિષેક પરમારની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે 1 ઓક્ટોબ 2025 ના રોજ પ્રસિદ્ધ થયેલી મૂળ મતદાર યાદીના આધારે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.મહેસાણા જિલ્લામાં કુલ 7 વિધાનસભા મતવિસ્તારો ખેરાલુ, ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર સમાવિષ્ટ છે.મતદારોની સુવિધા માટે એક મતદાન મથક પર 1200થી વધુ મતદારો ન રહે તે હેતુસર મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે, જેના પરિણામે જિલ્લામાં મતદાન મથકોની સંખ્યા 1810થી વધારી 1991 કરવામાં આવી છે. 15.97 લાખ મતદારોનું ડિજિટલાઈઝેશનSIR 2026 અંતર્ગત Enumeration Form નું વિતરણ, સંગ્રહ અને ડિજિટલાઈઝેશનની કામગીરી 14 ડિસેમ્બરના રોજ 100 ટકા પૂર્ણ કરવામાં આવી છે. કુલ 15,97,570 મતદારો દ્વારા ફોર્મ પરત જમા કરાવી ડિજિટલાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન 1,94,123 મતદારો ને Uncollectable તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે, જેમાં સ્થળાંતર, મૃત્યુ વગેરે કારણો મુખ્ય છે. પ્રક્રિયા દરમિયાન વિવિધ શ્રેણી મુજબ મતદારોની સ્થિતિ આ મુજબ નોંધાઈ છે મૃત્યુ પામેલ મતદારો – 56,479ડુપ્લિકેટ મતદારો – 15,163કાયમી સ્થળાંતર થયેલ મતદારો – 10,6068અન્ય સ્થળે નોંધાયેલા પરંતુ પરત ન મળેલા,અન્ય કારણસર કાઢી નાખવા યોગ્ય મતદારો –14962 70446 મતદારો No Mapping શ્રેણીમાં આવ્યા આ ઉપરાંત 70446 મતદારો No Mapping શ્રેણીમાં આવ્યા છે. આ મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સમાવિષ્ટ રહેશે પરંતુ સંબંધિત મતદાર નોંધણી અધિકારી દ્વારા નોટિસ ઇશ્યુ કરી યોગ્ય સુનાવણી રાખી જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જ 17 ફેબ્રુઆરીના રોજ આખરી મતદારયાદીમાં સમાવેશ કરવો કે કેમ તે અંગેનો નિર્ણય લેવામાં આવશે. 18 જાન્યુઆરી સુધી વાંધા-દાવા રજૂ કરી શકાશેમૂળ મતદાર યાદી સાથે પ્રસિદ્ધ થવાની તારીખ 18 જાન્યુઆરી 2026 સુધી વાંધા-દાવા રજૂ કરી શકાશે. વાંધા-દાવાની પ્રક્રિયા તથા નિરાકરણ 10 ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરવામાં આવશે અને અંતિમ મતદાર યાદી 17 ફેબ્રુઆરી રોજ પ્રસિદ્ધ થશે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 8:01 pm

ટેમ્પોમાં એવું 'ચોરખાનું' બનાવ્યું કે પોલીસ પણ ચકરાવે ચઢી:31st પહેલા બુટલેગરની યોજના પર ક્રાઈમ બ્રાન્ચે પાણી ફેરવી લીધુ, 1632 દારૂ-બિયરની બોટલ જપ્ત કરી

નવા વર્ષની ઉજવણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે સુરતમાં બુટલેગરો સક્રિય થયા છે. જોકે, સુરત ક્રાઈમ બ્રાન્ચે આ વખતે બુટલેગરોની આખી યોજના પર પાણી ફેરવી દીધું છે. પુણા વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે એક એવો ટેમ્પો ઝડપી પાડ્યો છે. જેમાં સામાન્ય નજરે કંઈ દેખાતું નહોતું, પરંતુ તેની અંદર લાખોની કિંમતનો દારૂ અત્યંત ચાલાકીથી છુપાવવામાં આવ્યો હતો. ટેમ્પોમાં દારૂની હેરાફેરી માટે ખાસ ખાનું બનાવ્યુંબુટલેગરોએ આ વખતે પોલીસને થાપ આપવા માટે ટેમ્પોના બોડીમાં ખાસ પ્રકારનું 'ચોરખાનું' તૈયાર કર્યું હતું. આ ખાનાને ઉપરથી લોખંડના પતરા અને શેડ વડે એવી રીતે ઢાંકી દેવામાં આવ્યું હતું કે, કોઈ પણ અધિકારીને શંકા ન જાય. જાણે કોઈ એન્જિનિયરિંગ પ્લાન મુજબ આ ટેમ્પોની બોડીમાં વધારાની જગ્યા ઉભી કરવામાં આવી હતી, જેનો ઉપયોગ માત્ર દારૂની હેરાફેરી માટે જ થતો હતો. પોલીસ પતરું ઉપર કરતા ચોંકી ઉઠીપુણાના મગોબ CNG પંપ પાસે આવેલા 'જય માતાજી પાર્કિંગ'માં જ્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો, ત્યારે ટેમ્પો નંબર GJ-05-AT-1240 ઊભો હતો. પોલીસને પાકી બાતમી હતી કે આ વાહનમાં કંઈક અજુગતું છે. ઝીણવટભરી તપાસ દરમિયાન પતરાની નીચે બનાવેલું ગુપ્ત ખાનું નજરે પડ્યું હતું. આ ખાનું ખોલતાની સાથે જ પોલીસ પણ અવાક રહી ગઈ હતી, કારણ કે અંદર વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો ખડકાયેલો હતો. 10 લાખનો મુદ્દામાન જપ્તઆ કાર્યવાહીમાં પોલીસે કુલ 1632 નંગ વિદેશી દારૂ અને બિયરની નાની-મોટી બોટલો કબજે કરી છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. 8,02,800 જેટલી થાય છે. આ ઉપરાંત રૂ. 2 લાખનો ટેમ્પો અને મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 10,07,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ માટે આ જથ્થો સુરત શહેરમાં ઘુસાડવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ગુનાહીત ઈતિહાસ ધરાવતા આરોપીની ધરપકડપોલીસે આ મામલે લિંબાયત વિસ્તારના મયુર સોસાયટીમાં રહેતા નરેન્દ્ર ઉર્ફે નારાયણ દત્તાત્રેય નાગપુરે નામના શખસની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી મૂળ મહારાષ્ટ્રના અહેમદનગરનો વતની છે અને તેનો ગુનાહિત ઈતિહાસ ઘણો જૂનો છે. અગાઉ પણ તે વાંસદા, લિંબાયત અને ડીંડોલી પોલીસ સ્ટેશનમાં દારૂબંધીના ગંભીર ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. હાલમાં પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને સુરતમાં અન્ય કયા મોટા માથાઓ આ નેટવર્ક સાથે જોડાયેલા છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 7:55 pm

Editor's View: એક ગોળી છૂટી ને બાંગ્લાદેશ ભડકે બળ્યું:ભારત વિરોધી હાદીનાં મોતથી આખા દેશમાં અંધાધૂંધી, પડદા પાછળ ચીન-પાકિસ્તાન એક્ટિવ, ભારત માટે નવો ખતરો

28 જૂન, 1914. યુરોપની સાંકડી ગલીમાં એક ગોળી ચાલી અને આખી દુનિયા ફર્સ્ટ વર્લ્ડ વૉરની આગમાં હોમાઈ ગઈ. ઈતિહાસ સાક્ષી છે કે ક્યારેક એક નાનકડી એવી ગોળી માત્ર એક વ્યક્તિનું લોહી નથી વહાવતી, પણ દેશોના નકશા ફેરવી શકે છે અને મોટા યુદ્ધો પણ શરૂ કરાવી શકવાની ક્ષમતા રાખે છે. આટલી જૂની વાત આપણે એટલા માટે યાદ કરી રહ્યા છીએ કારણ કે.... બરાબર 111 વર્ષ પછી, 12 ડિસેમ્બર 2025ના રોજ બાંગ્લાદેશના ઢાકાના પુરાના પલટન વિસ્તારમાં એક રિક્ષામાં જઈ રહેલા બાંગ્લાદેશના એક યુવાન ઉસ્માન હાદીના માથામાં જ્યારે બિલકુલ નજીકથી ગોળી મારવામાં આવી, ત્યારે પણ ઈતિહાસે પોતાનું ક્રૂર પુનરાવર્તન કર્યું છે. ત્યારે વાત વિશ્વની હતી આજે વાત બાંગ્લાદેશની છે. 19 ડિસેમ્બર 2025નો આ દિવસ સાક્ષી છે કે હાદીના છેલ્લા શ્વાસની સાથે જ બાંગ્લાદેશમાં ફરી તોફાનોની આગ ભભૂકી ઉઠી છે. આજે આપણે તેની એટલે કે બાંગ્લાદેશમાં ફરી જન્મેલી હિંસાની જ્વાળા અને ચીનનું રમકડું અને પાકિસ્તાનની જેમ કટ્ટરવાદની ચરમસીમાએ પહોંચી ચૂકેલા બાંગ્લાદેશની વાત કરીશું... નમસ્કાર.... ઓગસ્ટ 2024માં શેખ હસીનાના પતન પછી બાંગ્લાદેશ જે વળાંક પર ઊભું છે ત્યાંથી હવે પાછા વળવું મુશ્કેલ લાગી રહ્યું છે. ત્યાંના યુવા નેતા અને ભારત વિરોધી માનસિકતા ધરાવતા ઉસ્માન હાદીનું મૃત્યુ એ માત્ર એક રાજકીય અંત નથી, પણ એક એવી વિચારધારાનો ઉદય છે જે ભારત માટે 'રેડ એલર્ટ' સમાન છે. માટે સૌથી પહેલા આખી ઘટનાની ક્રોનોલોજી સમજીએ.... ઉસ્માન હાદી અને હિંસાની ટાઇમલાઇન હવે જે એક વ્યક્તિના મોતના કારણે એક દેશ ભડકે બળ્યો તે શરીફ ઉસ્માન હાદી વિશે જાણીએ કોણ છે ઉસ્માન હાદી? સંસદીય ચૂંટણી પહેલા બાંગ્લાદેશ ભડકે બળ્યું આપણે સૌ જાણીએ છીએ કે ફેબ્રુઆરી 2026માં બાંગ્લાદેશમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે હાદી મજબૂત અપક્ષ અવાજ તરીકે ઉભરી રહ્યા હતા અને દેશમાં હિંદુસ્તાન વિરોધી ઝેર ઓકી રહ્યા હતા. એવામાં જે દિવસે ગોળી ચાલી તે જ દિવસે તેમણે સોશિયલ મીડિયામાં કથિત ગ્રેટર બાંગ્લાદેશનો નકશો શેર કર્યો અને ભારતના સેવન સિસ્ટરને બાંગ્લાદેશનો ભાગ બતાવ્યો. જ્યારે બાંગ્લાદેશ સત્તા વિહોણું થયું હાલના બનાવની વિસ્તારથી વાત કરીએ તો આ આગની શરૂઆત ઓગસ્ટ 2024માં જ થઈ ગઈ હતી. જ્યારે પંદર વર્ષના શાસન પછી શેખ હસીનાએ જીવ બચાવવા દેશ છોડવો પડ્યો, ત્યારે બાંગ્લાદેશમાં એક પાવર વેક્યુમ સર્જાયું. ભારત માટે હસીના એક સુરક્ષિત અને સ્થિર ભાગીદાર હતા, પણ રસ્તા પર ઉતરેલા બાંગ્લાદેશી યુવાનો માટે તેઓ એક વિલન હતાં. 1971 પછી સૌથી મોટી સૈન્ય કાર્યવાહી હસીનાના બાંગ્લાદેશ છોડ્યા પછી મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર આવી, પણ પડદા પાછળ ઇન્કલાબ મંચ અને જમાત-એ-ઇસ્લામી જેવા સંગઠનો વધુ સક્રિય થયા. શરીફ ઉસ્માન હાદી એવા નેતા હતા જેણે આ પરિવર્તનને નેતૃત્વ આપ્યું હતું. પરંતુ જે બાંગ્લાદેશી ક્રાંતિની તેમણે શરૂઆત કરી હતી તે જ ક્રાંતિની ચિનગારીથી બનેલી આગે તેમને ભરખી લીધા. આ ઘટનાક્રમે બાંગ્લાદેશને 1971ના મુક્તિ સંગ્રામ પછીના સૌથી મોટા સૈન્ય અને રાજકીય પડકાર સામે લાવીને મૂકી દીધું છે. સમાચારપત્રોની ઓફિસમાં આગચંપી આ ઘટનાને પોલિટિકલ ચશ્માથી જોઈએ તો ચૂંટણી પહેલા બાંગ્લાદેશના મુખ્ય વિરોધ પક્ષ અવામી લીગને પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. લોકશાહીના સપના જોતા કટ્ટરવાદીઓની ટોળાશાહીએ હાદીના મૃત્યુ પછી ઢાકામાં જે રીતે પ્રોથોમ આલો અને ધ ડેઇલી સ્ટાર જેવા અખબારોની ઓફિસો સળગાવી, તે બતાવે છે કે ત્યાં હવે સાચું બોલનારા માટે કોઈ જગ્યા નથી. 1975ની ભારતની ઈમર્જન્સીની જેમ બાંગ્લાદેશની આ 'ટોળાશાહી સેન્સરશિપ' છે, જ્યાં બંદૂકના નાળચે નેરેટિવ સેટ કરવામાં આવી રહ્યો છે. બાંગ્લાદેશમાં હિંસાની જમીની હકિકત હાલની બાંગ્લાદેશની ગ્રાઉન્ડ રિયાલિટીની વાત કરીએ ચટગાંવ, ધાનમંડી, શાહબાગ અને રાજશાહી સહિતના વિસ્તારોમાં ભારી હિંસા થઈ છે. આપણે હાલ વાત કરી રહ્યા છીએ ત્યાં સુધીમાં 40થી વધુ તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બની છે. ભારતીય હાઈકમિશનરનાં ઘર પર પથ્થરમારો થયો છે. જેમાં 2 પોલીસ અધિકારી સહિત કૂલ 4 લોકો ઘાયલ થયા છે. હિંસક પ્રદર્શનમાં મુખ્ય અખબારોની ઓફિસો સળગાવી દીધી છે અને પત્રકારોની હત્યા પણ કરવામાં આવી છે. ધાર્મિક હિંસામાં વધારો ક્રૂર ઘટનાની વાત કરીએ તો બાંગ્લાદેશમાં લઘુમતિ લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ગારમેન્ટ કંપનીમાં કામ કરતા 30 વર્ષના દીપુ ચંદ્રદાસને મૈમનસિંહમાં ટોળાએ મારી નાખ્યા હતા અને પછી ઝાડ પર લટકાવીને સળગાવી દેવામાં આવ્યા હતા. પરિણામે મજબૂરીમાં લોકો સ્થળાંતર કરી રહ્યા છે. ભારત તરફથી હાલ બાંગ્લાદેશ હિંસાઓ પર સત્તાવાર રીતે કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી પણ ટેમ્પરરી રીતે વિઝા સર્વિસ જરૂરથી સસ્પેન્ડ કરવામાં આવી છે. હાદીના મોત પછી વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસે કહ્યું કે, આ ક્રૂર હત્યામાં સામેલ તમામ અપરાધીઓને જલદી જ પકડી લેવામાં આવશે અને તેમને વધુમાં વધુ સજા મળશે. આ મામલામાં કોઈ નરમ વલણ રખાશે નહિ. હાદીનો અવાજ દબાવવાનો અને ક્રાંતિકારીઓને ડરાવવાનો નાપાક પ્લાન નિષ્ફળ કરાશે. ચીનની બાંગ્લાદેશમાં ઘૂસણખોરી ભારત માટે આ મામલે સૌથી મોટો ખતરો બાંગ્લાદેશમાં ચીનનો વધી રહેલો લશ્કરી પ્રવેશ છે. ભારતીય સરહદથી માત્ર 15 કિલોમીટર દૂર ચીન બાંગ્લાદેશ પર ડોલરનો વરસાદ કરીને 370 મિલિયન ડોલર એટલે કે લગભગ 3,100 કરોડના ખર્ચે લાલમોનિરહાટ એરબેઝ બનાવી રહ્યું છે. 370 મિલિયન ડોલર એટલે બાંગ્લાદેશના ડિફેન્સ બજેટની 10 ટકા રકમ. આટલો મોટો ખર્ચ ચીન માત્ર માછલી પકડવા માટે તો નથી જ કરતું. પણ પોતાની 8 સબમરીન રહી શકે તેના માટે પૈસાનો વરસાદ થઈ રહ્યો છે.. હાલમાં બાંગ્લાદેશ પાસે માત્ર 2 સબમરીન છે. તો બાકીની જગ્યા કોના માટે? જવાબ સ્પષ્ટ છે.... ચીની નેવી... એ પણ ભારતીય સરહદ નજીક. બાંગ્લાદેશની આગ ભારત દઝાડશે? આપણી ચિકન નેક જેને સિલીગુડી કોરિડોર પણ કહેવાય છે; તેની પહોળાઈ માત્ર 22 કિલોમીટર છે. ટૂંકમાં અમદાવાદથી ગાંધીનગર જેટલી. જો ચીન બાંગ્લાદેશના એરબેઝનો ઉપયોગ કરે, તો તે માત્ર 5 મિનિટની ઊડાનમાં ભારતના ઉત્તર-પૂર્વના 8 રાજ્યોનું અંતર કાપી શકે છે. માટે જ આપણા દેશ માટે આ મોટો ખતરો છે. આપણને એમ થાય કે ઉસ્માન હાદી માત્ર એક ક્રાંતિકારી વિદ્યાર્થી નેતા હતા અને તેમની હત્યા લોકશાહી માટે છે… પણ અહીં જ તો મોટો ટ્વિસ્ટ છે. ભારતના આસામ, મેઘાલય અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોને બાંગ્લાદેશનો ભાગ બતાવતો નકશો ઉસ્માન હાદીએ શેર કર્યો હતો. માટે હાદીનો અસલ ટાર્ગેટ ભારતની આંતરિક સુરક્ષામાં ગાબડું પાડવાનો હતો. બાંગ્લાદેશ અને લેબેન્સરામ સિદ્ધાંત આવા કાવતરાઓને નાઝી સમયમાં લેબેન્સરામનો સિદ્ધાંત કહેવાતો હતો. જેનો અર્થ થાય છે રહેવા માટેની જગ્યા. બાંગ્લાદેશ આવું એટલા માટે કરી રહ્યું છે કારણ કે વધતી જતી વસ્તી અને બાકી પણ પ્રશ્નોના કારણે તેમના નાગરિકોને ભારત આવવું પડે છે. બાંગ્લાદેશ આને સરહદો વધારવાની એક રીત સમજે છે જ્યારે ભારત માટે આ ઘૂસણખોરી છે. બાંગ્લાદેશના હિંસક બનાવો બાદ હવે શું? જેના કારણે દક્ષિણ એશિયાના ખંડમાં બહુ મોટા પરિણામો આગામી સમયમાં જોઈ શકાય એમ છે. અને છેલ્લે….. 26 ઓક્ટોબર 2025ના દિવસે ઢાકામાં બાંગ્લાદેશના મોહમ્મદ યુનુસે એક પાકિસ્તાની આર્મી જનરલ સાથેની મુલાકાત કરી હતી. ત્યારે તેમણે આર્ટ ઓફ ટ્રાયમ્ફ લખેલો એક નકશો ભેટ આપ્યો હતો. આ નકશામાં ભારતના રાજ્યોને બાંગ્લાદેશના ચીતરવામાં આવ્યા હતા. આ કોઈ ભૂલ નહોતી પણ રાજદ્વારી ઉશ્કેરણી હતી. બાંગ્લાદેશ પોતાની નિષ્ફળતાઓ ઢાંકવા કટ્ટરપંથી તત્વોને ખુશ કરીને રાષ્ટ્રવાદી કાર્ડ રમી રહ્યું છે. ટૂંકમાં ચીન અને પાકિસ્તાન માટે બાંગ્લાદેશ અત્યારે એક એવી 'લેબોરેટરી' બની ગયું છે જ્યાં તેઓ ભારતને પૂર્વમાંથી ઘેરવાના પ્રયોગો કરી રહ્યા છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 7:55 pm

રાયસણ અને સેકટર 7ના બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ:NGOના નામે અને કમિશનની લાલચે 'મ્યુલ એકાઉન્ટ' ખોલાવી 6 લાખના ટ્રાન્ઝેક્શન કર્યાં હતા

ગાંધીનગરમાં ઓનલાઈન છેતરપિંડીથી મેળવેલા નાણાં સગેવગે કરવા માટે બેંક ખાતાઓનો દુરુપયોગ કરનારા શખ્સો સામે સાયબર ક્રાઈમ સેલે લાલ આંખ કરી છે. ભારત સરકારના I4C પોર્ટલ પર મળેલી માહિતીના આધારે ગાંધીનગર સાયબર સેલે બે અલગ-અલગ કિસ્સામાં કુલ 6 લાખથી વધુની રકમના ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન પકડી પાડી રાયસણ અને સેકટર 7ના બે શખ્સો વિરુદ્ધ સ્થાનિક પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. મ્યુલ એકાઉન્ટ મામલે બે શખ્સો સામે ફરિયાદ નોંઘાઈસાયબર ક્રાઈમ સેલે મ્યુલ એકાઉન્ટ મામલે ગાંધીનગરના વધુ શખ્સો વિરુધ ઇન્ફોસિટી અને સેકટર 21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. ગાંધીનગરના રાયસણના પીડીપીયુ રોડ રાયસણ ગુડાના મકાનમાં રહેતો મૂળ રાજસ્થાનના લલિત દુધારામ મેઘવાલના HDFC બેંક ખાતામાં શંકાસ્પદ વ્યવહારો તપાસમાં જણાઈ આવ્યા હતા. કમિશનની લાલચે ખાતું મિત્રને આપ્યું ને ફસાયોતપાસ દરમિયાન બહાર આવ્યું કે, લલિતે કમિશનની લાલચે કે અન્ય કોઈ કારણોસર પોતાના બેંક ખાતાની પાસબુક, ચેકબુક અને ATM કિટ તેના મિત્ર સંજયને વાપરવા આપી હતી. આ ખાતામાં જૂન 2025 દરમિયાન અંદાજે 3.90 લાખનું ટ્રાન્ઝેક્શન થયું હતું, જેમાંથી મોટી રકમ ઓનલાઈન ઠગાઈની હોવાનું ખુલ્યું છે. પોલીસે લલિત અને તેના મિત્ર સંજય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 2.35 લાખથી વધુની રકમના ટ્રાન્ઝેક્શન થયા એજ રીતની તપાસમાં ગાંધીનગર સેક્ટર-7 પ્લોટ નંબર 904/2માં રહેતા સતીષ જયંતિભાઈ પટેલનું નામ સામે આવ્યું છે. સતીશ 'આકાર ફાઉન્ડેશન' નામના NGO માટે IDFC બેંકમાં ખાતું ધરાવે છે. આ ખાતામાં મે 2025 દરમિયાન 2.35 લાખથી વધુની રકમના ટ્રાન્ઝેક્શન થયા હતા, જેમાંથી 1.90 લાખ રૂપિયા સાયબર ઠગાઈના હોવાનું NCCRP પોર્ટલ પર નોંધાયું હતું. સતીષ પટેલે આ રકમ ચેક દ્વારા ઉપાડી લીધી હતી. આ બંને મામલે સાયબર ક્રાઈમ સેલ દ્વારા ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 7:49 pm

સહકારી મંડળીના બે અધિકારી સહિત 3 લાંચ લેતા ઝડપાયા:સુરત ACB કચેરીથી માત્ર 500 મીટર દૂર જ લાંચનું સેટિંગ ગોઠવ્યું, રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર માટે 20 હજાર માગ્યા હતા

સુરત જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની કેચરીના ઓડિટર ગ્રેડ 2 ઘુઘાભાઈ ગોલિહ, નિવૃત્ત ઓફિસ સુપ્રિટેન્ડેટ વારસી અહમદ શેખ અને આઉટ સોર્સ ઓપરેટર કલ્પેશ ચૌધરી સામે એન્ટી કરપ્શન બ્યુરોએ લાલ આંખ કરી છે. આ ત્રણેય શખસોએ મંડળીના રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર માટે ફરિયાદી પાસે લાંચની માગણી કરી હતી. જે મામલે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સહકારી મંડળીમાં નોંધણીની અરજી માટે 25 હજારની લાંચ માગીસુરત એન્ટી કરપ્શન બ્યૂરોની કચેરીથી માત્ર 500 મીટરના અંતરે જ લાંચિયા અધિકારીઓએ લાંચના રૂપિયા સ્વીકારવાનું સેટિંગ ગોઠવ્યું હતું. સહકારી મંડળીની નોંધણી માટે આવેલી અરજીના બદલામાં આરોપી ઓડિટર ઘુઘાભાઈએ શરૂઆતમાં 25 હજારની માગ કરી હતી. જોકે, રકઝકના અંતે 20 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જોકે, ફરિયાદી આ રકમ આપવા માગતો ન હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. કોમ્પ્યુટર ઓપરેટર કલ્પેશ ચૌધરી લાંચના નાણાં લેવા પહોંચ્યોલાંચિયા અધિકારીઓએ આ રૂપિયા માટે અડાજણ વિસ્તારમાં ગુજરાત ગેસ સર્કલ પાસે આવેલી વિજય ડેરીની સામેના ટેબલ-ખુરશીવાળા જાહેર સ્થળની પસંદગી કરી હતી. આરોપી વારીસ અહમદ શેખ (નિવૃત સુપ્રિટેન્ડેન્ટ)ના કહેવા મુજબ આઉટ સોર્સ કોમ્પ્યુટર ઓપરેટર કલ્પેશ ચૌધરી ત્યાં નાણાં લેવા પહોંચ્યો હતો. જાહેર રસ્તા પર જ લાંચની રકમ આપવાની હતી. લાંચના 20 હજાર સ્વીકારતા જ ACBએ રંગે હાથ ઝડપી પાડ્યોજેવી કલ્પેશ ચોધરીએ ફરિયાદી પાસેથી રૂપિયા 20 હજારની રોકડ રકમ હાથમાં લીધી કે તુરંત જ આસપાસ ગોઠવાયેલા ACBના જવાનોએ તરાપ મારી હતી. ACBની કચેરીની એટલી નજીક જ લાંચ લેતા ઝડપાઈ જવાથી કચેરીના અન્ય કર્મચારીઓમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ઓડિટર અને નિવૃત્ત સુપ્રિટેન્ડન્ટે આખું નેટવર્ક ગોઠવ્યુંACBની તપાસમાં સામે આવ્યું છે કે, ઓડિટર ઘુઘાભાઈ (ઉ.વ. 39) અને નિવૃત્ત સુપ્રિટેન્ડન્ટ વારીસ શેખ (ઉ.વ. 64) એ આખું નેટવર્ક ગોઠવ્યું હતું. જેમાં ઓપરેટર કલ્પેશ (ઉ.વ. 24)નો પ્યાદા તરીકે ઉપયોગ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી ત્રણેયની અટકાયત કરી છે. આ સફળ ટ્રેપ સુરત શહેર ACBના પીઆઇ કે.જે. ધડુક અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સહકારી મંડળી કચેરીમાં ચાલતા લાંચિયા રાજનો પર્દાફાશઆ સમગ્ર કાર્યવાહીમાં મદદનીશ નિયામક આર.આર. ચૌધરી અને વડોદરા રેન્જના નાયબ નિયામક બળદેવ દેસાઈ (IPS)એ સીધું માર્ગદર્શન આપ્યું હતું. જાગૃત નાગરિકની એક ફરિયાદને કારણે સહકારી મંડળી કચેરીમાં ચાલતા લાંચિયા રાજનો પર્દાફાશ થયો છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 7:48 pm

મોરબી બાર એસો. ચૂંટણીમાં પ્રમુખ દિલીપ અગેચાણીયા બિનહરીફ:અન્ય ચાર હોદ્દા માટેના પરિણામો જાહેર કરાયા

મોરબી બાર એસોસિએશનના 11 હોદ્દેદારો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રમુખ સહિત પાંચ હોદ્દા પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા, જ્યારે જોઈન્ટ સેક્રેટરી અને ચાર કારોબારી સભ્યો માટે મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે દિલીપભાઈ આર. અગેચાણીયા, ઉપપ્રમુખ પદ માટે દીપકભાઈ વાલજીભાઈ પારેઘી અને ટ્રેઝરર પદ માટે નિધિબેન ત્રિભુવનભાઈ વાઘડિયા બિનહરીફ ચૂંટાયા હતા. આ ઉપરાંત, મહિલા રી-પ્રેઝન્ટેટિવ પદ માટે ખુશ્બુબેન યોગેશભાઈ કોઠારી અને કારોબારી સભ્ય (મહિલા અનામત) પદ માટે હેતલબેન ત્રિલોકભાઈ મહેશ્વરી પણ બિનહરીફ જાહેર થયા હતા. જોઈન્ટ સેક્રેટરી અને ચાર કારોબારી સભ્યોના પદ માટે શુક્રવારે મતદાન યોજાયું હતું. મતગણતરી બાદ જાહેર થયેલા પરિણામો અનુસાર, જોઈન્ટ સેક્રેટરી પદે જીતેન્દ્રભાઈ ડાયાભાઈ સોલંકી વિજેતા બન્યા છે. કારોબારી સભ્યો તરીકે દેવીપ્રસાદ કૈલાશભાઈ જોશી, પ્રદીપભાઈ ધનજીભાઈ કંઝારીયા, ઘનશ્યામભાઈ બી. આદ્રોજા અને યોગેશભાઈ આર. પારેજીયા ચૂંટાયા છે. આ પરિણામોની જાહેરાત ચૂંટણી અધિકારીઓ રાજેશભાઈ બદ્રકીયા, અશોકભાઈ પરીખ, ખુશ્બુબેન કંઝારીયા અને સોનલબેન પરમાર દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 7:48 pm

મજૂર પર બે ટનની કાસ્ટિંગની પેટી પડતા મોત:ડાબો પગ કપાઈ જતાં ખુબ લોહી વહી ગયું; વાઘોડિયાની મંગલમ સ્ટીલ કંપનીમાં બનાવ

વડોદરાના વાઘોડિયાની મંગલમ સ્ટીલ કંપનીમાં શ્રમજીવી કામ કરી રહ્યો હતો. આ દરમિયાન તેના પર બે ટનનું વજન ધરાવતી કાસ્ટિંગની પેટી પડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને સારવાર દરમ્યાન કરુણ મોત નીપજયું હતું. આ મામલે વાઘોડિયા પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વજનદાર પેટી પડતાં નીચે દટાઈ ગયાંવડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના વેડપુર ત્રિકમપુરા ગામના કુવા વાળા ફળિયામાં રહેતા 48 વર્ષના ગુલાબસિંહ કલ્યાણસિંહ પરમાર છેલ્લા કેટલાક સમયથી વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી મંગલમ સ્ટીલ કંપનીમાં કામ કરતા હતા. ગઈકાલે સાંજે કામ દરમિયાન ગુલાબસિંહ પર બે ટનના વજનની કાસ્ટીંગની પેટી પડતા તેઓ દબાઈ ગયા હતાં. પગ કપાઈ જતાં મોત નીપજ્યુંઆ ઘટનામાં ગુલાબસિંહને ડાબા પગ ઉપર પેટી પડતા પગ કપાઈ જતા લોહી વહી ગયું હતું. ત્યારબાદ તેઓને ગંભીર હાલતમાં પ્રથમ પારુલ સેવાશ્રમ અને ત્યારબાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં તેમનું મોત નીપજયું હતું. વાઘોડિયા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 7:45 pm

વડોદરાથી અંબાજી વચ્ચે નવી એ.સી.વોલ્વો બસ આજથી શરૂ:ટિકિટ રૂ.535 ચૂકવવી પડશે, વડોદરાથી સવારે 5.45 કલાકે અને અંબાજીથી બપોરે 01:15 કલાકે ઉપડશે

વડોદરા એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોને વધુ સારી અને આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુસર નવી એ.સી.વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત વડોદરાથી અંબાજી વચ્ચે નવી એ.સી.વોલ્વો બસ સેવા આજથી નિયમિત રીતે શરૂ કરવામાં આવી છે. વડોદરાથી સવારે 5.45 કલાકે ઉપડશેઆ નવી બસ સેવા વડોદરાથી સવારે 5.45 કલાકે ઉપડશે અને અંબાજી ખાતે સવારે 11:45 કલાકે પહોંચશે. તેવી જ રીતે, પરત ફરતી બસ અંબાજી થી બપોરે 01:15 કલાકે ઉપડશે અને વડોદરા ખાતે સાંજે 07:15 કલાકે પહોંચશે. ઓનલાઈન બુકિંગના રૂ. 539 અને ઓફલાઈનના 535 ચૂકવવા પડશે આ એ.સી. વોલ્વો બસ સેવા શરૂ થવાથી યાત્રાળુઓ તથા સામાન્ય મુસાફરોને વધુ આરામદાયક, સુરક્ષિત અને ઝડપી મુસાફરીની સુવિધા મળશે. ખાસ કરીને અંબાજી જતાં યાત્રિકો માટે આ સેવા ખૂબ લાભદાયી સાબિત થશે. આ બસ સેવાનો લાભ લેવા મુસાફરે ઓનલાઈન બુકિંગ કરાવશે તો 539 રૂપિયા ચૂકવવા પડશે અને ડાયરેક્ટ ટિકિટ 535 રૂપિયા થશે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 7:40 pm

ગાંધીનગરમાં રોજગાર મેળો યોજાયો:28 કંપનીઓએ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડી

ગાંધીનગરમાં જિલ્લા રોજગાર કચેરી અને સમર્પણ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સંયુક્ત રીતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ૨૮ કંપનીઓએ ભાગ લીધો હતો, જેમાં મોટી સંખ્યામાં યુવાનો રોજગારીની તકો મેળવવા માટે ઉપસ્થિત રહ્યા હતા. મેળામાં હાજર રહેલી ૨૮ કંપનીઓએ યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં રોજગારીની તકો પૂરી પાડી હતી. રોજગારવાંચ્છુ યુવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપીને કંપનીઓના પ્રતિનિધિઓ સાથે સીધી વાતચીત કરી હતી. મેળાનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમર્પણ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્યાએ જિલ્લા રોજગાર અધિકારીનું મોમેન્ટો અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. જિલ્લા રોજગાર અધિકારી નિશાંત શુક્લાએ કંપનીઓ અને યુવા વર્ગને સંબોધિત કર્યા હતા. તેમણે યુવાનોને સલાહ આપી હતી કે, રોજગારી મેળવવાના પ્રયાસમાં કેટલાક યુવાનો માત્ર પોતાની પસંદગીની નોકરી માટે જ પ્રયાસ કરે છે. આવા જડ વલણ દાખવવાને બદલે, પ્રાથમિક સંજોગોમાં જરૂરિયાત મુજબ નોકરીની તક ઝડપી લેવી જોઈએ. જિલ્લા રોજગાર અધિકારીએ કાર્યક્રમ માટે કેમ્પસ ઉપલબ્ધ કરાવવા બદલ સમર્પણ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્યાનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 7:34 pm

વડોદરામાં બિશપ ગેમ્સ 6.0નો ભવ્ય પ્રારંભ:પાંચ શહેરોના 600થી વધારે BNI ઉદ્યોગસાહસિકો એકસાથે જોડાયા, ટ્રોફીનું અનાવરણ

મધ્ય ગુજરાતની સૌથી મોટી ઇન્ટર સિટી બિઝનેસ સ્પોર્ટિંગ ઇવેન્ટ્સમાંની એક, બિશપ ગેમ્સ 6.0નો સત્તાવાર પ્રારંભ એક હાઈ- એનર્જી બાઇક રેલી સાથે થયો, જેણે એન્ટ્રેપરિનિયરશીપ, લીડરશીપ અનેસ્પોર્ટ્સના સેલિબ્રેશન માટે માહોલ સેટ કર્યો હતો. આ મલ્ટિ-સિટી સ્પોર્ટિંગ કોન્ક્લેવ વડોદરા, આણંદ, નડિયાદ, ભરૂચ અને અંકલેશ્વરના BNI સભ્યોને એકસાથે લાવે છે, જે બોર્ડરૂમની બહાર પણ સહયોગની શક્તિને મજબૂત બનાવે છે. બિશપ ગેમ્સ 6.0નો સત્તાવાર પ્રારંભ બરોડા, આણંદ-નડિયાદ, ભરૂચ અને અંકલેશ્વરમાં BNI ચેપ્ટર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કલ્પેશ જે. શાહના નેતૃત્વ હેઠળ રચાયેલ અને સંચાલિત, બિશપ ગેમ્સ સમુદાય નિર્માણ અને નેતૃત્વ જોડાણ દ્વારા વ્યવસાય ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાની તેમની લાંબા સમયથી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. પાંચ શહેરોના 600થી વધારે BNI ઉદ્યોગસાહસિકો એકસાથે જોડાયાબિશપ ગેમ્સ 6.0માં 13 BNI ચેપ્ટર્સમાંથી 600થી વધુ બિઝનેસ ઓનર્સ ભાગ લઈ રહ્યા છે, જેઓ ઇન્ડોર, આઉટડોર અને પરંપરાગત ફોર્મેટ્સને આવરી લેતી 10 વિવિધ સ્પોર્ટ્સ ડિસિપ્લિનમાં સ્પર્ધા કરશે. ક્રિકેટ અને બેડમિન્ટન મુખ્ય આકર્ષણ રહે છે, પરંતુ સતોડિયું અને ક્રોકેટ જેવી પરંપરાગત અને ઓછી-પરંપરાગત રમતોનો સમાવેશ આ આવૃત્તિને અલગ પાડે છે, જે પ્રાદેશિક સંસ્કૃતિ અને રમતગમતમાં સમાવેશની ઉજવણી કરે છે. બહુવિધ શહેરોના પ્રતિનિધિત્વ સાથે, બિશપ ગેમ્સ 6.0 એક પ્રાદેશિક, સહયોગ-સંચાલિત ચળવળમાં વિકસિત થઈ છે, જ્યાં બિઝનેસ લીડર્સ માત્ર વ્યાવસાયિકો તરીકે જ નહીં, પરંતુ રમતગમત દ્વારા એક થયેલા ટીમના સાથીઓ અને સ્પર્ધકો તરીકે પણ જોડાય છે. 'બિશપ ગેમ્સ કોસિસ્ટમને મજબૂત બનાવે છે'આ પ્રસંગે બોલતા, કલપેશ જે. શાહે કહ્યું, બિશપ ગેમ્સ માત્ર મેચ જીતવા વિશે નથી, તે બિઝનેસ લીડર્સ વચ્ચે મજબૂત સંબંધો, વિશ્વાસ અને સૌહાર્દ બનાવવાની વાત છે. જ્યારે લોકો સાથે રમે છે, ત્યારે તેઓ અલગ રીતે જોડાય છે અને તે જોડાણો આખરે સમગ્ર બિઝનેસ ઇકોસિસ્ટમને મજબૂત બનાવે છે. બિશપ ગેમ્સ 6.0 લાઇફ લેન્સ ઇન્ટિરિયર્સ OPC પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત છે, જેનું નેતૃત્વ રિયા દવે કરે છે, અને આદિકુરા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા સહ-પ્રાયોજિત છે, જેનું નેતૃત્વ ડો.સુમિત કાપડિયા કરે છે. આ બંને ઉદ્યોગસાહસિકોમાં સુખાકારી, ટીમ વર્ક અને સમુદાય જોડાણને પ્રોત્સાહન આપવાના વિઝનમાં સહભાગી છે. 28મી ડિસેમ્બર સુધી યોજાશે19મીથી 28મી ડિસેમ્બર દરમિયાન આયોજિત, બિશપ ગેમ્સ 6.0 BNIની આ માન્યતાને ફરીથી સમર્થન આપવા માટે તૈયાર છે કે મજબૂત વ્યવસાયો માત્ર રેફરલ્સ અને મીટિંગ્સ દ્વારા જ નહીં, પરંતુ કાયમી બંધન બનાવતા વહેંચાયેલા અનુભવો દ્વારા પણ બનાવવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 7:32 pm

છોટા ઉદેપુરમાં SIRમાં 8.42 લાખ મતદારો નોંધાયા:મેપિંગની દ્રષ્ટિએ 89.49 ટકા સાથે રાજ્યમાં ત્રીજા સ્થાને, 65,336 મતદારો હાલ પૂરતા રદ કરાયા

છોટા ઉદેપુર જિલ્લામાં SIR (સ્પેશિયલ સમરી રિવિઝન) કામગીરી હેઠળ કુલ 8,42,280 મતદારો નોંધાયા છે. આ પ્રક્રિયા દરમિયાન 65,336 મતદારોને હાલ પૂરતા રદ કરવામાં આવ્યા છે.છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી આ કામગીરી અંતર્ગત, કુલ 8,42,280 મતદારોમાંથી 7,76,945 મતદારોનો ડેટા ડિજિટાઇઝ્ડ કરવામાં આવ્યો છે, જે કુલ મતદારોના 92.24% છે. રદ થયેલા મતદારોમાં 27,647 (3.28%) મૃત્યુ પામ્યા છે, 4,224 (0.50%)મતદારો મળી આવ્યા નથી, અને 27,994 (3.32%) મતદારો કાયમી સ્થળાંતર કરી ગયા છે. વિવિધ કારણોસર કુલ 65,336 મતદારોના ફોર્મ ભરાયા નથી. આ પણ વાંચો : ગુજરાતમાં SIR-2026ની ડ્રાફ્ટ યાદી જાહેર, ડ્રાફ્ટ વોટર લિસ્ટમાં તમારું નામ આ 3 સ્ટેપથી ચેક કરોજિલ્લાના કુલ 8,42,280 મતદારોમાંથી 89.49 % મતદારોનું મેપિંગ પૂર્ણ થયું છે, જ્યારે 2.75%મતદારોનું મેપિંગ કરવાનું બાકી છે.મહત્વપૂર્ણ છે કે, છોટા ઉદેપુર જિલ્લો સમગ્ર ગુજરાત રાજ્યમાં મેપિંગની દ્રષ્ટિએ ત્રીજા સ્થાને આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 7:31 pm

જામનગરમાં 1.77 લાખ મતદારોના નામ કપાયા:SIR ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 18મી જાન્યુઆરી સુધી વાંધા અરજી કરી શકાશે

જામનગરમાં મતદાર સુધારણા કાર્યક્રમ (SIR) 2026 અંતર્ગત ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં કુલ 12,41,097 મતદારો નોંધાયા છે, જ્યારે 1,77,477 મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. કમી કરાયેલા 1,77,477 મતદારોમાં મૃત્યુ પામેલા 43,112, ગેરહાજર 35,450, સ્થળાંતરિત 89,029, બેવડા નોંધાયેલા 6,437 અને અન્ય 3,449 મતદારોનો સમાવેશ થાય છે. મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સંબંધિત વાંધા-દાવા રજૂ કરવા માંગતા મતદારો 18 જાન્યુઆરી, 2026 સુધીમાં અરજી કરી શકશે. ત્યારબાદ, ચૂંટણી અધિકારીઓ દ્વારા 10 ફેબ્રુઆરી, 2026 સુધીમાં રજૂ થયેલા વાંધાઓની સત્યતા ચકાસી તેનો નિકાલ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 7:31 pm

સાબરકાંઠા જિલ્લાની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર:જિલ્લામાંથી 99,910 નામો કપાયા, 18 જાન્યુઆરી 2026 સુધી હકક-દાવા અને વાંઘા અરજીઓ કરી શકાશે

સાબરકાંઠા જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત આજરોજ તા. 19 ડિસેમ્બર 2025 ના રોજ મુસદ્દા મતદારયાદી (Draft Electoral Roll) પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદી દરેક વિધાનસભા મતવિસ્તારના મતદાન મથકો, ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ અને ચૂંટણી અધિકારીની કચેરીઓએ સામાન્ય નાગરિકોની જાણ માટે ઉપલબ્ધ કરાવાઈ છે.જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી તેમને મુસદ્દા મતદારયાદી તથા ASD (Absent, Shifted, Death) મતદારોની યાદી પૂરી પાડવામાં આવી હતી. કુલ 99,910 નામોનો હાલની મુસદ્દા યાદીમાં સમાવેશ નહીં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમનો ગણતરી તબક્કો 14 ડિસેમ્બરે પૂર્ણ થયો છે. જે મતદારો પાસેથી ગણતરી ફોર્મ (EF Form) પ્રાપ્ત થયા નથી અથવા જેઓ ગેરહાજર, સ્થળાંતરિત કે મરણ પામેલ છે, તેવા કુલ 99,910 નામોનો હાલની મુસદ્દા યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.સાબરકાંઠા જીલ્લામાં કુલ 11,61,118 મતદારોની SIR અંતર્ગત ખરાઇ કરવામાં આવેલ. જે પૈકી મરણ પામેલ 33147, મતદારો, ગેરહાજર હોય તેવા 11352 મતદારો, કાયમી સ્થળાંતર પામેલા હોય તેવા 44988 મતદારો, બે જગ્યાએ નોંધાયેલા હોય તેવા 9400 મતદારો તથા અન્ય કારણોસર EF ફોર્મ જમાં કરાવી શક્યા ન હોય તેવા 1023 મતદારો મળી કુલ 99910 મતદારોના નામોનો મુસદૃા મતદારયાદીમાં સમાવેશ થયો નથી. 18 જાન્યુઆરી 2026 સુધી હકક-દાવા અને વાંઘા અરજીઓ કરી શકાશેહકક-દાવા અને વાંઘા અરજીઓ રજુ કરવાનો સમયગાળો તા.19.12.2025 થી તા.18.01.2026 સુઘી નિયત થયેલ છે. પ્રાપ્ત થયેલા ગણતરી ફોર્મ ઉ૫ર તથા દાવા અને વાંધાના સમયગાળા દરમિયાન મળેલી અરજીઓનો ERO (મતદાર નોંઘણી અઘિકારી) / AERO (મદદનીશ મતદાર નોંઘણી અઘિકારી) ઘ્વારા નિર્ણય કરવામાં આવશે. આ નોટીસના તબકકા માટે તા.19.11.2025 થી તા.10.02.2026 સુઘીનો સમયગાળો નિયત થયેલ છે. આ તબકકા દરમ્યાન જે મતદારોની પોતાની કે માતા-પિતા/દાદા-દાદીની વિગતો 2002ની યાદીમાં મળી આવેલ નથી તેવા પ્રસ્તાવિત મતદારોને નોટીસ કાઢી સુનાવણી આપી, મતદારોની લાયકાત તથા દસ્તાવેજોની ચકાસણી કરી તેઓના નામ મતદારયાદીમાં રાખવા / ન રાખવા અંગે ERO/AERO ઘ્વારા આખરી નિર્ણય કરવામાં આવશે.જો કોઈ મતદાર નિર્દિષ્ટ સમયમર્યાદામાં તેમના ભરેલા ગણતરી ફોર્મ સબમિટ કરવામાં અસમર્થ હોય, તો તેઓ દાવા અને વાંધાના સમયગાળા દરમિયાન સમાવેશ માટે નિયત ઘોષણા ફોર્મ (પરિશિષ્ટ D) સાથે ફોર્મ નં.6 ફાઇલ કરી શકે છે. આખરી મતદારયાદી 17 ફેબ્રુઆરી 2026એ જાહેર થશે હકક દાવા અને વાંધા અરજીઓના તથા નોટીસના તબકકા બાદ લાયકાત ઘરાવતા તમામ મતદારોને સમાવતી આખરી મતદારયાદીની પ્રસિદ્ધિ તા.17.02.2026 ના રોજ કરવામાં આવશે.ભારતના ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર સાબરકાંઠા જિલ્લામાં મતદાન મથકોનું પુનઃગઠન (Reorganization) કરવામાં આવ્યું છે. જે મુજબ, મતદારોની સુવિધા માટે જે મતદાન મથકો પર 1200 થી વધુ મતદારો નોંધાયેલા હતા, તેનું વિભાજન કરીને નવા મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. પુનઃગઠન બાદ જિલ્લામાં મતદાન મથકો વધીને 1419 થયા આ પુનઃગઠન હેઠળ 27-હિંમતનગર વિધાનસભામાં મતદાન મથકોની સંખ્યા 326 થી વધીને 366 થઈ છે, જ્યારે 28-ઇડર વિધાનસભામાં 334 મથકોના સ્થાને હવે 359 મથકો રહેશે. તેવી જ રીતે, 29-ખેડબ્રહ્મા વિધાનસભામાં સૌથી વધુ ફેરફાર સાથે મથકોની સંખ્યા 325 થી વધીને 374 થઈ છે અને 32-પ્રાંતિજ વિધાનસભામાં 297 થી વધીને હવે 320 મતદાન મથકો કાર્યરત થશે.આમ, સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં પુનઃગઠન પહેલા કુલ 1282 મતદાન મથકો હતા, જે હવે વધીને કુલ 1419 થયા છે, એટલે કે જિલ્લામાં કુલ 137 નવા મતદાન મથકોનો ઉમેરો થયો છે.મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ કરતા હિંમતનગર માં બહુમાળી ભવન ખાતે રંગોથી ચિત્ર બનાવવામાં આવ્યું હતું સાથે તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ ચૂંટણી વિભાગના અધિકારીઓ સાથે કેક કાપી હતી.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 7:22 pm

દરિયાપુરમાંથી SMCએ 21 જુગારીઓને દબોચ્યા:સરખેજમાં પીસીબીની ટીમે જુગારધામ ઝડપીને 10ને પકડ્યા, સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા પોપટિયા વાડમાં ધમધમતાં જુગારના અડ્ડા પર ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)ની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે. SMCની ટીમે જુગાર રમતા 21 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. યુસુફ લપલપ સહિતના જુગારીઓ જુગાર રમતા ઝડપાયા છે. જ્યારે સરખેજમાંથી પોલીસ કમિશનરની PCBની ટીમે જુગાર રમતાં 10 લોકોને ઝડપી લીધા છે. પોપટીયાવાડમાં આરબ ગલીના મકાનમાં જુગાર અડ્ડો ચાલતો હતોમળતી માહિતી મુજબ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ કે. ડી. રવ્યાની ટીમને બાતમી મળી હતી કે,અમદાવાદના દરીયાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા પોપટીયાવાડમાં આરબ ગલીના એક મકાનમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જે અંગેની બાતમી મળતાની સાથે જ સ્ટેટ મોનિટિંગ સેલ ની ટીમ સક્રિય થઈ ગઈ હતી અને ટીમ દ્વારા પોપટીયાવાડમાં આવેલા મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. મકાનમાં જુગાર રમતાં યુસુફ લપલપ સહિત 21 જેટલા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસને 3.15 લાખ રૂપિયા રોકડા અને 21 મોબાઈલ ફોન તેમજ 6 વાહનો સહિતનો રૂ . 7 71 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. SMC એ 21 જેટલા લોકોને ઝડપ્યાસ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા તમામ મુદ્દામાલ અને આરોપીઓ દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. આ મામલે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં અયાઝ વોરા, ફરીદ શેખ, યુસુફ ખાન ઉર્ફે લપલપ પઠાણ, મોહમ્મદ જાવે શેખ, મહંમદ યાસીન કુરેશી, શકીલ અહેમદ શેખ, અસલમ ખાન પઠાણ, મહંમદ ઈરફાન શેખ, ઇદ્રીશ શેખ, સોહીલ સરલજીવાલા, અબ્દુલ રાશીદ શેખ, સૈયદ અલી સૈયદ, મોહમ્મદ આસિફ અન્સારી, સરફરાઝ ખાન પઠાણ, દશરથ પરમાર, હમીદુલ્લા ખાન પઠાણ, મહંમદ ઈસ્માઈલ અબ્દુલ વહાબ શેખ, મહંમદ યુસુફ શેખ, બલદેવ ભરવાડ, શહેઝાદ પણજી અને મોહસીન પટેલ વિરુદ્ધ જુગાર રમવા અંગેનો કેસ નોંધવામાં આવ્યો છે. દરિયાપુર પોલીસ અને સ્થાનિક એજન્સીઓ ઊંઘતી ઝડપાઈ અને ગાંધીનગરથી સ્ટેટમેન્ટ સેલની ટીમે દરોડો પાડી મોટા ગજાના જુગારીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે સરખેજ વિસ્તારમાં પીસીબીએ દરોડો પાડ્યો હતો. જેથી સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા છે.સરખેજમાં પીસીબીની ટીમે જુગારધામ ઝડપીને 10ને પકડ્યાઅમદાવાદ પોલીસ કમિશનરની PCBની ટીમે સરખેજના ઉજાલા સર્કલથી સનાથલ રોડ ઉપર ગિરિરાજ માર્કેટિંગના ગોડાઉન સામે ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિકના મેણિયાથી બનાવેલી ઓરડીમાં તેમજ ઉજાલા ચોકડી ખાતે જાહેરમાં ચાલતા જુગારધામ પર એકસાથે કાર્યવાહી કરી હતી. આ રેડ દરમિયાન જુગાર રમતા 10 આરોપીઓને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે મુખ્ય લિસ્ટેડ આરોપી ઇરફાન મુસાભાઈ ઉમડીયા સહિત કેટલાક આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સરખેજ, થલતેજ, મણીનગર, અમરાઇવાડી, દરીયાપુર, જુહાપુરા સહિતના વિસ્તારોના લોકોનો સમાવેશરેડ દરમિયાન PCBએ અંગજડતી અને દાવના રોકડા રૂપિયા 36,810 તથા 115 કોઇન, 104 ગંજીપાના પત્તા, પ્લાસ્ટિક બાસ્કેટ, ટોપલી, પાંચ મોબાઇલ ફોન, છ ટુ-વ્હીલર તેમજ જુગાર રમવાના અન્ય સાધનો સહિત કુલ રૂ. 3,86,810નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં સરખેજ, થલતેજ, મણીનગર, અમરાઇવાડી, દરીયાપુર, જુહાપુરા સહિતના વિસ્તારોના લોકોનો સમાવેશ થાય છે. PCB દ્વારા આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ફરાર આરોપીઓ, વાહનચાલકો તેમજ સ્થળ પરથી મળી આવેલા મોબાઇલ ફોનના ધારકોને ઝડપી લેવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓ (1) રૂસ્તમ સફીભાઈ મનસુરી (ઉ.વ.48)(2) હેમંત બાબુલાલ શાહ (ઉ.વ.66)(3) વિષ્ણુ સોમાભાઈ રાઠોડ (ઉ.વ.36)(4) મહેશ લાલચંદ રંગવાણી (ઉ.વ.44)(5) મુફીઝ મજીદભાઈ મોળીયા (ઉ.વ.21)(6) શરીફમિયા રહેમાનમિયા શેખ (ઉ.વ.40)(7) જયમીન મહેન્દ્રભાઈ પટેલ (ઉ.વ.36)(8) આસીફ મોહમદ સફી મણિયાર (ઉ.વ.54)(9) વિનોદ ચંપાલાલ ચૌહાણ (ઉ.વ.35)(10) રસુલખાન યાસીનખાન પઠાણ

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 7:19 pm

તારાપુરના રિંઝામાં સાબરમતી નદી પર બ્રિજનું નિર્માણ કરાશે:મુખ્યમંત્રીએ મંજૂરી આપી, તાલુકાના ચાર ગામોના લોકોની વર્ષો જૂની સમસ્યાનું કાયમી નિવારણ આવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના રિંઝા ગામ ખાતે સાબરમતી નદી પર નવા પૂલનું રૂપિયા 110 કરોડના ખર્ચે નિર્માણ કરવાની મંજૂરી આપી છે. તારાપુર તાલુકાના રિંઝા, નભોઈ, પચેગામ અને દુગારી ગામોના લોકોએ સાબરમતી નદીનું વહેણ બદલાવાને કારણે ચોમાસામાં સામે કાંઠે જઈ શકાતું ન હોવાની તથા સંપર્ક વિહોણા થઈ જતા હોવાની રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતનો સંવેદના પૂર્ણ પ્રતિસાદ આપતા ટુ લેન બ્રિજ સહિત પથ રેખા પર 4 કિ.મી.નો નવો રસ્તો બનાવવા જમીન સંપાદન, બાંધકામ પૂર્વે હાઈડ્રોલિક સર્વે, સોઈલ ઈન્વેસ્ટિગેશન અને આલેખન જેવી બાંધકામ પહેલાની પ્રવૃત્તિઓ સહિતના સંભવિત ખર્ચ માટે સમગ્રતયા 110 કરોડ રૂપિયા ફાળવવાની અનુમતિ આપી છે. ચોમાસા દરમિયાન નદીનું વહેણ બદલાવાથી સંપર્ક વિહોણા થઈ જતાં આ ગામોની વર્ષો જુની સમસ્યાનું નિવારણ આ પુલનું બાંધકામ પૂર્ણ થતાં આવી જશે અને વાહન વ્યવહાર તેમજ ખેત ઉદ્યોગ અને ઈઝ ઓફ લિવિંગ માટે આ પુલ આશિર્વાદ રૂપ બનશે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 7:13 pm

પ્રાઈવેટ સ્કૂલોનું સ્વેટર માટે વિદ્યાર્થીઓ પર દબાણ, યુથ કોંગ્રેસ-NSUIનો હલ્લાબોલ:DEO કચેરીમાં વિરોધ કરીને શાળાઓ સાથે DEOની સાંઠગાંઠનો આક્ષેપ કર્યો, કાર્યવાહી કરવા માગ

અમદાવાદ શહેરની ખાનગી શાળાઓ સ્વેટર, પુસ્તક ખરીદવા માટે વિદ્યાર્થીઓ પર દબાણ કરતા હોવાનો NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ચોક્કસ જગ્યાએથી સ્વેટર ખરીદવા અને પુસ્તક ખરીદવા શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ પણ દબાણ કરવામાં આવતા યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અનેક ફરિયાદ છતાં અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કોઈ કાર્યવાહી ન કરતા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. જેને લઈને યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો. ખાનગી શાળાઓ અને DEO કચેરીની સાંઠગાંઠ હોવાનો પણ આક્ષેપ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પર દબાણ કરતી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા માંગ કરવામાં આવી છે. DEO બે શાળાઓને નોટિસ ફટકારી ખુલાસો રજૂ કરવા માટે આદેશ કર્યોઅમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ બે શાળાઓને નોટિસ ફટકારી ખુલાસો રજૂ કરવા માટે આદેશ કર્યો છે. ચોક્કસ કલરનું સ્વેટર પહેરીને આવવા માટે દબાણ કરતા હોવાની ફરિયાદ મળવા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઓઢવ વિસ્તારમાં આવેલી સુજ્ઞાન પ્રાથમિક શાળા અને વિરાટ નગર ચાર રસ્તા પર આવેલી સેંટ માર્ક સ્કૂલને અમદાવાદ શહેર DEO એ નોટિસ ફટકારી છે. ચોક્કસ કલરનું સ્વેટર પહેરીને આવવા માટે દબાણ કરવામાં આવતા વિદ્યાર્થી દીઠ 10 હજાર રૂપિયા દંડ કેમ ન કરવો તેને લઈને શાળાઓને ખુલાસો રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. જો શાળાઓ યોગ્ય જવાબ રજૂ નહીં કરે તો નિયમ અનુસાર કાર્યવાહી કરવાની પણ અમદાવાદ શહેર DEOએ તૈયાર દર્શાવી છે. યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા વિરોધ પ્રદર્શનઅમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ખાનગી શાળાઓ લૂંટ ચલાવવા માટે ચોક્કસ દુકાનેથી સ્વેટર અને પુસ્તક લેવા દબાણ કરતા હોવાના આરોપ સાથે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં મોટી સંખ્યામાં NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ હલ્લાબોલ કર્યો હતો. DEO હાય હાયના નારા લગાવી યુથ કોંગ્રેસ અને NSUI ના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કમિશન મળતું હોવાનો NSUI દ્વારા આક્ષેપ સ્વેટરની દુકાન પરથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કમિશન મળતું હોવાનો પણ આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યો હતો. જેથી NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા DEO આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને માંગ કરવામાં આવી છે કે દબાણ કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને શિયાળા દરમિયાન સવારની શાળાઓમાં સમયમાં ફેરફાર કરવામાં આવે. DEO કચેરીમાં ભારે હલ્લાબોલ કરતા યુથ કોંગ્રેસના અને NSUI ના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. 'ચોક્કસ જગ્યાએથી સ્વેટર અને પુસ્તક લેવામાં ન આવે તો હેરાન કરવામાં આવે છે'ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ મહામંત્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં કેટલી ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને ચોક્કસ જગ્યાએથી સ્વેટર લેવા દબાણ કરી રહી છે. રાજ્ય સરકારનો પરિપત્ર હોવા છતાં ખાનગી શાળાઓ પરિપત્રને ગોળીને પી ગઈ છે. વિદ્યાર્થીઓને સસ્તુ સ્વેટર અને પુસ્તક મળી રહે તેવી વ્યવસ્થા રાજ્ય સરકારે કરવાની હોય છે. પરંતુ DEO કચેરી દ્વારા આ પ્રકારની ખાનગી શાળાઓ ઉપર યોગ્ય દબાણ લાવવામાં આવતું નથી. જેથી વિદ્યાર્થીઓને વાલીઓને હેરાન થવું પડે છે. જો ચોક્કસ જગ્યાએથી સ્વેટર અને પુસ્તક લેવામાં ન આવે તો હેરાન કરવામાં આવે છે. ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે તો સવારની શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવે તેવી પણ અમારી માંગ છે. આનંદ નિકેતન, સુગમ સહિતની તમામ શાળાઓ સ્વેટર માટે યુનિફોર્મ માટે દબાણ કરતી હોય છે. અનેક વખત જિલ્લા શિક્ષણાધિકારીને ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ કોઈ પણ પગલા લેવામાં આવતા નથી. 'કોઈ પણ શાળા ધ્યાને આવે છે તો તેની સામે પણ કાર્યવાહી કરાશે'અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ સંગઠન દ્વારા સ્વેટર માટે શાળાઓ દબાણ ન કરે તે માટે આવેદનપત્ર આપ્યું છે. પરંતુ અમે કોઈ શાળા દબાણ ન કરે તે માટે કાર્યવાહી કરેલ જ છે. કોઈ પણ શાળા ધ્યાને આવે છે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. શાળાઓ અન્ય રીતે દબાણ કરશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. કોઈ સ્કૂલની ફરિયાદ કરવામાં આવી નથી. પરંતુ જો ચોક્કસ નામ સાથે ફરિયાદ કરવામાં આવે છે તો અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. જેથી અમે વાલીઓને પણ કહ્યું છે કે સારથી નંબર પણ ફોન કરીને જાણ કરવામાં આવે. 'કોઈપણ શાળા ચોક્કસ જગ્યાએથી ખરીદવા માટે દબાણ ન કરી શકે' વધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અમને કોઈ પણ શાળાઓના નામ આપવામાં આવ્યા નથી. જેવી વિગત આવશે તો કાર્યવાહી કરવામાં આવશે. માત્ર નોટિસ આપવામાં આવતી નથી યોગ્ય કાર્યવાહી કરી રહ્યા છીએ. RTEના નિયમ પ્રમાણે કોઈપણ શાળા ચોક્કસ જગ્યાએથી ખરીદવા માટે દબાણ ન કરી શકે. જેથી ફરિયાદના આધારે તેવો નિકાલ પણ કરવામાં આવે છે. કોઈ પણ કમિશન અમે શાળાઓ પાસેથી લેતા નથી, અમે નિયમ પ્રમાણે જ કાર્યવાહી કરી રહ્યા છીએ.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 7:02 pm

'કોઈને કીધુ તો 5 વર્ષની સજા, 1 કરોડની પેનલ્ટી લાગશે':અમદાવાદના 6 દિવસથી ડિજિટલ અરેસ્ટેડ વૃદ્ધનું રેસ્ક્યુ, ₹92 લાખનું ફંડ તોડાવી વિદેશ મોકલવાનું કહેતા મેનેજરને શંકા ગઈ

અમદાવાદમાં સાયબર ઠગોએ વૃદ્ધને 6 દિવસ સુધી 'ડિજિટલ અરેસ્ટ' કરીને ₹1.43 કરોડની છેતરપિંડીનો પ્રયાસ કર્યો હતો, જેને સાયબર ક્રાઈમ બ્રાન્ચે સમયસર નિષ્ફળ બનાવી વૃદ્ધને બચાવી લીધા હતા. મ્યુચ્યુઅલ ફંડ મેનેજરને વૃદ્ધે ₹92 લાખનું ફંડ તોડાવી વિદેશમાં અભ્યાસ કરતા દીકરાને મોકલવાનું કહ્યું હતું, જેથી તેમને શંકા જતાં સાયબર ક્રાઈમને જાણ કરી હતી. ઠગોએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નકલી અધિકારી તરીકે વોટ્સએપ વીડિયો કોલ કરીને વૃદ્ધને ડરાવી ₹50 લાખની FD પણ તોડાવી હતી, પરંતુ પોલીસની સમજાવટ બાદ વૃદ્ધને છેતરપિંડીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. વૃદ્ધને 10 કલાક સુધીની સમજાવટ બાદ બચાવાયાતાજેતરમાં જ એક વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા જેઓને સાયબર ક્રાઇમની ટીમે સમય સૂચકતાને લઈ બચાવી લીધા હતા ત્યારે શહેરમાં વધુ એક વૃદ્ધને ડિજિટલ એરેસ્ટના નામે રૂ. 1.43 કરોડ પડાવવાના પ્રયાસને સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. મ્યુચ્યુઅલ ફંડના મેનેજરને વૃદ્ધ દ્વારા રૂપિયા 92 લાખનું ફંડ તોડાવી અને વિદેશમાં અભ્યાસ કરતા દીકરાને મોકલવા માટે કહ્યું હતું જેથી તેઓને શંકા ગઈ હતી અને આ બાબતે સાયબર ક્રાઈમને જાણ કરતા વૃદ્ધ અને સમજાવવામાં આવ્યા હતા. વૃદ્ધને 10 કલાક સુધીની સમજાવટ બાદ આખરે ડિજિટલ એરેસ્ટ જેવા છેતરપિંડીના ગુનામાંથી બચાવી લેવાયા હતા. વિદેશમાં દીકરાને પૈસા મોકલવા છે કહી ફંડ તોડાવતા મેનેજરને શંકા ગઈસાયબર ક્રાઈમ બ્રાન્ચ એસીપી હાર્દિક માકડીયાએ જણાવ્યું હતું કે, મ્યુચ્યુઅલ ફંડ મેનેજર તરીકે કામ કરનારા પંકજભાઈ દોશીએ તાજેતરમાં જ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડિજિટલ એરેસ્ટના નામે છેતરપિંડી કરનારા વૃદ્ધાને બચાવવામાં આવ્યા હોવાનો વીડિયો જોયો તો જેને જોઈને તેમના ઘાટલોડિયા વિસ્તારમાં રહેનારા ક્લાઈન્ટ દ્વારા રૂપિયા 92 લાખનું મ્યુચ્યુઅલ ફંડ તોડાવી અને વિદેશમાં રહેતા તેમના દીકરાને પહોંચાડવાનું છે એવું કહ્યું હતું જેથી તેઓને શંકા ગઈ હતી અને આ બાબતે સાયબર ક્રાઈમ બ્રાન્ચને જાણ કરી હતી. મ્યુચ્યુઅલ ફંડ એજન્ટે સાયબર ક્રાઈમનો સંપર્ક કરી વૃદ્ધને બચાવ્યાસાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ બાબતે એક્ટિવ થઈ ગઈ હતી અને મ્યુચ્યુઅલ ફંડ એજન્ટ સાથે સંપર્ક કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વૃદ્ધના મોબાઈલ નંબર ના આધારે તેમનું લોકેશન એક્ટિવ કરતાં ખાનગી બેંકમાં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી, બેંકમાં સૌપ્રથમ જાણ કરી હતી કે, તેઓ જે પૈસા ઉપાડવા આવ્યા છે તે ઉપાડવા દેવા નહીં અને ત્યારબાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી. તેઓને ડિજિટલ અરેસ્ટ કરાયા હોવાની શંકા હતી, જેથી તેમનો મોબાઈલ ફોન ચેક કરવામાં માંગ્યો હતો પરંતુ, વૃદ્ધ દ્વારા મોબાઈલ આપવામાં આવ્યો નહોતો. ત્યારબાદ ઘરે જઈ આ બાબતે વાત કરવાનું કહેતા તેમને ઘરે લઈ ગયા હતા અને પોતે ડિજિટલ એરેસ્ટ થયા હોવાનું માનતા નહોતા. જે બાદ વિદેશમાં રહેતા તેમના પુત્રને અને તેમના સગા-વ્હાલાને સંપર્ક કરવામાં આવ્યો હતો. 6 દિવસથી વૃદ્ધ ડિજિટલ અરેસ્ટ હતાઆ બાબતે પૂછપરછ કરતા તેમને જાણવા મળ્યું હતું કે, વૃદ્ધને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નકલી અધિકારીનો વોટ્સએપ કોલ આવ્યો હતો. સાયબર ગઠિયાઓએ વૃદ્ધને છેલ્લા છ દિવસથી ‘ડિઝીટલ એરેસ્ટ’ કરી રાખ્યા હતા અને ડરાવવા માટે નકલી દસ્તાવેજો મોકલ્યા હતા. ઠગબાજોએ વૃદ્ધને કહ્યું કે તેમના નાણાં વેરિફિકેશન માટે ટ્રાન્સફર કરવા પડશે, જેના કારણે વૃદ્ધ 92 લાખના મ્યુચ્યુઅલ ફંડ અને 50 લાખની બેંક એફડી (કુલ ₹1.43 કરોડ) તોડાવીને પૈસા ઉપાડવા બેંક પહોંચ્યા હતા. સાયબર ક્રાઈમ બ્રાંચ, અમદાવાદ દ્રારા જાહેર જનતાને અપીલ:- ડિજિટલ એરેસ્ટ થયેલ વ્યક્તિની ઓળખાણ કંઇ રીતે કરશો ડિજિટલ એરેસ્ટ સબંધે બેંકના અધિકારી તથા ફંડ મેનેજરને જરૂરી સૂચના વિક્ટિમને વધુ ડરાવવા માટે નૉન-બેલેબલ જેવા કાનૂની શબ્દોનો ઉપયોગ કરે છેસાયબર ક્રિમીનલ્સ દ્વારા અજમાવવામાં આવતા મુખ્ય હથકંડાઓમાં વોટ્સએપ એપ્લિકેશન દ્વારા વીડિયો કોલ કરીને વિક્ટિમને ડરાવવાનો સમાવેશ થાય છે. આ કોલમાં નકલી ધરપકડ વોરંટ બતાવવામાં આવે છે જેમાં સુપ્રીમ કોર્ટના લોગોનો ઉપયોગ કરવામાં આવે છે, તેમજ પોલીસ યુનિફોર્મમાં વ્યક્તિને બતાવીને વિશ્વાસ મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. વિક્ટિમને વધુ ડરાવવા માટે નૉન-બેલેબલ જેવા કાનૂની શબ્દોનો ઉપયોગ કરીને મની લોન્ડરિંગના આરોપ લગાવવામાં આવે છે અથવા ઇન્ટરનેશનલ પાર્સલમાં ડ્રગ્સ મળી આવ્યા હોવાની વાત કહીને અથવા તેમના SIM કાર્ડનો દુરુપયોગ થયો હોવાનું જણાવીને મોટી રકમની માંગણી કરવામાં આવે છે. આ તમામ હથકંડાઓથી વિક્ટિમને માનસિક દબાણમાં મૂકીને તેમના બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:55 pm

બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં 2.19 લાખ મતદારોના નામ કપાયા:SIR ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 18મી જાન્યુઆરી સુધી વાંધા અરજી કરી શકાશે

ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ કુલ 9 વિધાનસભા વિસ્તારોની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ મતદાર યાદીની 100 ટકા ડિજિટાઇઝેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. કલેક્ટર મિહિર પટેલે ડ્રાફ્ટ મતદાર યાદીની વિગતો આપતા જણાવ્યું કે, બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના કુલ મતદારોની સંખ્યા 26,24,952 હતી. તેમાંથી 24,05,325 ગણતરી ફોર્મ EF પરત મળ્યા છે. ASD (Absent, Shifted, Dead) ના કારણે 2,19,627 મતદારો કમી થયા છે. આથી, ફાઇનલ ડ્રાફ્ટ રોલમાં 24,05,325 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રસિદ્ધ થયેલી આ ડ્રાફ્ટ યાદીની સોફ્ટ અને હાર્ડ કોપી માન્ય રાજકીય પક્ષોને સુપ્રત કરવામાં આવી છે. ઉપરાંત, દરેક બૂથના BLO (બૂથ લેવલ ઓફિસર) ને પણ ફોટોવાળી મતદાર યાદી પૂરી પાડવામાં આવી છે. પ્રસિદ્ધ થયેલ ડ્રાફ્ટ યાદી અંગે હક્ક દાવા અને વાંધા અરજીઓ 19 ડિસેમ્બર, 2025 થી 18 જાન્યુઆરી, 2026 સુધી સંબંધિત ERO (મતદાર નોંધણી અધિકારી) ને રજૂ કરી શકાશે. આ સમયગાળા બાદ નોટિસ અને સુનાવણી હાથ ધરવામાં આવશે. જે મતદારોએ હક્ક દાવા અને વાંધા અરજીઓ કરી છે, તેમજ 'નો મેપિંગ' (2002ની યાદી મુજબ મેપિંગ ન થયેલા) શ્રેણીના કુલ 64,336 મતદારોને 19 ડિસેમ્બર, 2025 થી 10 ફેબ્રુઆરી, 2026 સુધી સંબંધિત વિધાનસભાના મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી સમક્ષ રૂબરૂ સાંભળવામાં આવશે. તેમના દ્વારા રજૂ કરાયેલા આધાર પુરાવા મુજબ આગળનો નિર્ણય લેવામાં આવશે. બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીઓ ખાતે કુલ 27 હેલ્પ ડેસ્ક કમ ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. 'નો મેપિંગ' શ્રેણીના મતદારો આ સેન્ટર પર પોતાના આધાર પુરાવા રજૂ કરી શકશે. આપનું નામ મુસદ્દા મતદાર યાદીમાં નીચે દર્શાવેલ માધ્યમ વડે ચકાસી શકો છો. • વેબસાઇટ http://ceo.gujarat.gov.in• વોટર પોર્ટલ : voters.eci.gov.in• ECINET App• BLO પાસેથી• જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથીજો આપનું નામ મુસદ્દા મતદાર યાદીમાં ન હોય તો મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે ફોર્મ નં.6 ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકો છો. જો મુસદ્દા મતદાર યાદીમાં દર્શાવેલ વિગતોમાં કોઇ ભૂલ હોય તો ડેક્લેરેશન સાથે ફોર્મ નં.8 ભરીને જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાય છે.મુસદ્દા મતદાર યાદીમાં કોઇ પણ પ્રકારનો વાંધો રજૂ કરવા માટે ફોર્મ નં.7 ભરીને અરજી કરી શકાશે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:41 pm

જીતુ વાઘાણીના પિતાની પુણ્યતિથિ નિમિતે આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો:મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો, વિનામૂલ્ય દવાઓ તથા ચશ્માનું વિતરણ

ભાવનગર પશ્ચિમ મતવિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના પિતાની અગિયારમી પુણ્યતિથિ અન્વયે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન ફુલસર ખાતે કરવામાં આવ્યું હતું. 11મી પુણ્યતિથિ અન્વયે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજનરાજ્યના કૃષિમંત્રી અને ભાવનગર પશ્ચિમ મત વિસ્તારના ધારાસભ્ય જીતુ વાઘાણીના પિતાજી સવજીભાઈ કરશનભાઈ વાઘાણીની 11મી પુણ્યતિથિ અન્વયે શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ રામદેવપીરના મંદિરે સર્ટી હોસ્પિટલ તથા સ્વામી વિવેકાનંદ હોમિયોપેથી કોલેજના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઊમટી પડ્યા હતા અને આરોગ્ય નિદાન કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં ઉપસ્થિત ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને ભાવનગર કૌશિક વેકરિયાનું સ્થાનિકો દ્વારા વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું. ઉપરાંત આ વિસ્તારના વોર્ડ મંત્રી તેમજ કોર્પોરેટરો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્ય દવાઓ તથા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ મેડિકલ કેમ્પમાં ભાવનગરના પ્રભારી કૌશિક વેકરિયા,પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ,રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી, મેયર ભરત બારડ , પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી, શહેર જિલ્લા ભાજપ પ્રમુખ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્દીને મોટી બીમારી હોય તો ઓપરેશન સુધીની સુવિધાઓઆ અંગે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મારા સ્વર્ગસ્થ પિતા સવજીભાઈ વાઘાણીની પુણ્યતિથિ નિમિત્તે 12મો મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મારા મત વિસ્તારમાં લોકોએ ધારાસભ્ય બનાવ્યા પછી, જ્યારે મારો જન્મદિવસ હોય, મારા પિતાની પુણ્યતિથિ હોય, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ હોય, દરેક વોર્ડમાં પછાત વર્ગ અને ગરીબ વર્ગના લોકો હાજર રહે છે, એમાં મેડિકલ કેમ કરીને સંપૂર્ણ સુવિધા, જ્યારે કોઈ દર્દીને મોટી બીમારી હોય તો ઓપરેશન સુધીની સુવિધાઓ, દવાઓની સુવિધાની વ્યવસ્થાઓ, એ અમારા પરિવાર દ્વારા અને ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ દ્વારા આ વ્યવસ્થાઓ થઈ રહી છે. 'મારા પિતાની આ પુણ્યતિથિ લોકોના સેવામાં ઉપયોગી થઈ શકે'તેને વધુમાં કહ્યું કે, મારા પિતાની આ પુણ્યતિથિ લોકોના સેવામાં ઉપયોગી થઈ શકે, નરેન્દ્ર મોદીના જન્મદિવસ લોકસેવામાં ઉપયોગી થઈ શકે. દરેક વોર્ડમાં સરકારી સ્કૂલના જે દીકરા છે, એમના વાલી છે, તેમના માટેનું મેડિકલ કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ. અને આજે ફુલસર રામાપીર મંદિર ખાતે મેડિકલ કેમ્પનો કાર્યક્રમ રાખ્યો છે. લગભગ 1000થી 1500 લોકો આ કેમ્પમાં સમગ્ર કેમ્પ પૂરો થાય ત્યાં સુધી લાભ લેતા હોય છે અને મને આનંદ છે કે એમના જીવનમાં તંદુરસ્તી આપે, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ફરીવાર એને ન આવવું પડે એવી તંદુરસ્તી આપે. આજે રોગ નિદાન કરીને દવાઓ લઈને જાય અને રામાપીર ને અને ભગવાનની કૃપા વરસે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:38 pm

VGRC માં રૂ.1731 કરોડના પ્રસ્તાવિત રોકાણ સાથે 248 MOU કરાયા:કૃષિમંત્રી જીતુભાઈ વઘાણી કહ્યું કે...આગામી સમયમાં ધોલેરાને ભાવનગરમાં સમાવેશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, વિકાસથી ભાવનગરના વિકાસના નવા દ્વાર ખુલશે

ભાવનગરમાં ઇસ્કોન ક્લબ ખાતે ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી તથા કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાના રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) યોજાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા 'વિકસિત ભારત 2047'ના વિઝનને સાકાર કરવા આયોજિત આ કોન્ફરન્સમાં વિવિધ ઔદ્યોગિક એકમો સાથે કુલ રૂ.1700 કરોડથી વધુના MOU કરવામાં આવ્યા હતા. આ કોન્ફરન્સ દરમિયાન થયેલાં MOU માં કોમર્શિયલ એન્ડ રેસિડેન્સીયલ દ્વારા રૂ.460.57 કરોડ, એગ્રો એન્ડ ફુડ પ્રોસેસિંગ દ્વારા રૂ‌.120.82 કરોડ, કેમિકલ દ્વારા રૂ.40.84 કરોડ, એન્જિનિયરિંગ એન્ડ ઓટો સેક્ટર દ્વારા રૂ.102.59 કરોડ, પ્લાસ્ટિક દ્વારા રૂ.40.49 કરોડ, MSME દ્વારા‌ રૂ.122.11 કરોડ તેમજ માઈનીંગ દ્વારા રૂ‌.844 કરોડના કરારોનો સમાવેશ થાય છે. આમ, ભાવનગરની VGRCમાં ડિસ્ટ્રિક્ટ ઈન્ડસ્ટ્રી સેન્ટર, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને જીઓલોજી એન્ડ માઈનીંગ ક્ષેત્રમાં રૂ.1731.41 કરોડનાં પ્રસ્તાવિત રોકાણ સાથે 248 MOU પર હસ્તાક્ષર થયાં હતાં. જેનાથી 21,276 જેટલી રોજગારીનું નિર્માણ થશે. આ પ્રસંગે પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં 1700 કરોડથી વધુના એમ.ઓ.યુ. આજે થયા એ ગૌરવની વાત છે. વર્ષ 2003 માં શરૂ કરવામાં આવેલ વાઇબ્રન્ટ સમિટ આજે વટવૃક્ષ બન્યું છે. આવનાર સમયમાં ધોલેરાના વિકાસથી ભાવનગરના વિકાસના નવા દ્વાર ખુલશે, કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે આશરે રૂ.10,000 કરોડથી વધુની રાજ્ય સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે તેમજ ગણતરીના દિવસોમાં આશરે 6,900 કરોડની સહાયની ચૂકવણી પણ કરી દેવામાં આવી જે ખૂબ જ પ્રશંશનીય છે. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વર્ષ 2003માં વાઈબ્રન્ટ સમિટ શરૂ થઈ છે. જેના પરિણામરૂપે‌ આજે ગુજરાતે વિકાસક્ષેત્રે નવી ઉંચાઈઓ હાંસલ કરી છે, પહેલાં ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ સમિટ યોજાતી હતી, હવે જિલ્લાકક્ષાએ સમિટ યોજાવાથી ઉદ્યોગકારોને ઘર આંગણે જ યોગ્ય પ્લેટફોર્મ મળી રહ્યું છે. ભાવનગર જિલ્લાના ઉદ્યોગો અંગે તેમણે કહ્યું કે, ભાવનગર જિલ્લામાં એવાં પણ ઉદ્યોગો છે, જેનું ઉત્પાદન માત્ર ભાવનગર જિલ્લામાં જ થઈ રહ્યું છે એ બદલ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તેમણે સેમિકન્ડક્ટર, ધોલેરા સર, IT પાર્ક, જામનગર થી ભાવનગરને જોડતાં નવા એક્સપ્રેસથી ભાવનગર જિલ્લાને આગામી સમયમાં ખૂબ જ મોટો ફાયદો‌ થશે, તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જરૂરીયાત મુજબ નવી નીતિઓ પણ બની રહી છે જેનો સીધો ફાયદો ઉદ્યોગકારોને થઈ છે, જ્યાં પણ જરૂર પડે ત્યાં સરકાર આપની સાથે હોવાની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી. જીઓલોજી એન્ડ માઇનીગ વિભાગના કમિશનર ડો.ધવલ પટેલે કહ્યું કે,2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો જે રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે, તેવી જ રીતે ગુજરાતે પણ ગુજરાત 2047 વિઝન સાથેનો રોડ‌ મેપ તૈયાર કર્યો છે. તેમણે કહ્યું કે, ભાવનગરમાં પ્લાસ્ટિક ઉદ્યોગ, શિપબ્રેકિંગ અને શિપ રિસાયક્લિંગ સહિત અન્ય ઉદ્યોગો માટે પણ ઓપોર્ચ્યુનિટીની વિપુલ તકો રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. ‌તેમણે આગામી સમયમાં રાજકોટ ખાતે યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. આ કોન્ફરન્સમાં ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ્સ માટે ધોલેરા SIR માં ભવિષ્યની ઓપર્ચ્યુનિટીઝ વિશે, પોર્ટના વિકાસ અને શિપ બ્રેકિંગ અને શિપ બિલ્ડિંગ બાબતે, ગુજરાત સ્ટેટ બાયો ટેકનોલોજી મિશન તેમજ IT/ઈનોવેશન નીતિઓ જેવા વિષયો પર નિષ્ણાતોએ સેમિનાર યોજ્યાં હતા. VGRC પર ફિલ્મ પ્રસ્તુતિ, પ્રાદેશિક કોન્ફરન્સની પ્રસ્તુતિની સાથે MSMEની સફળતાની ગાથા રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત અગ્રણી ઉદ્યોગપતિઓ અને નિષ્ણાતો દ્વારા ઓપન હાઉસ ડિસ્કશન પણ રાખવામાં આવી છે, જેમાં બેસ્ટ પ્રેક્ટીસ, માળખાગત સુવિધાઓ અને તકો, કુશળતા અને નીતિગત હસ્તક્ષેપો અંગે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા કલેકટર ડો.મનીષ કુમાર બંસલે સ્વાગત પ્રવચન કર્યું હતું. મંત્રીઓના હસ્તે વાજપાઈ બેંકેબલ યોજનાના લાભાર્થીઓને રૂ.178.05 ની સહાયના ચેક તેમજ 9.3 કરોડની લોનના ચેક એનાયત કરાયા હતા. આ કાર્યક્રમ બાદ મહાનુભાવોએ વિવિધ વિભાગોના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મીયાણી, ધારાસભ્ય સેજલબેન પંડયા, ગૌતમભાઈ ચૌહાણ અને હિરાભાઈ સોલંકી, જિલ્લાના અગ્રણી દિગ્વિજયસિંહ ગોહિલ, કુમારભાઈ શાહ, દિવ્યેશભાઈ સોલંકી સહિત પદાધિકારીઓ-અધિકારીઓ અને સ્ટાર્ટઅપ સાહસિકો ઉપસ્થિત રહ્યાં હતા.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:35 pm

સોનિયા-રાહુલ કેસમાં ચુકાદો:કોંગ્રેસ કાર્યકરોએ બોટાદમાં ભાજપ કાર્યાલય સામે 'સત્યની જીત'ના નારા લગાવ્યા

બોટાદમાં કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામેના મની લોન્ડરિંગ કેસમાં કોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી. જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ 'સત્યની જીત, ઈડી નહીં લોકશાહીની જીત' જેવા નારા લગાવ્યા હતા. તેમણે બેનરો પ્રદર્શિત કરીને બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ભાજપે સત્તાનો દુરુપયોગ કરીને ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) નો રાજકીય ઉપયોગ કર્યો છે. પક્ષે દાવો કર્યો હતો કે નેશનલ હેરાલ્ડ કેસમાં કોર્ટના ચુકાદાથી ભાજપને આંચકો લાગ્યો છે. બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારીયાએ જણાવ્યું હતું કે, 'સત્યનો વિજય થયો છે'.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:31 pm

સાસણમાં સ્વિમિંગપુલમાં ડૂબી જતાં રાજકોટના 13 વર્ષીય વિદ્યાર્થીનું મોત:ધ ગીર ગેટ વે રિસોર્ટમાં બની ઘટના, રાજકોટની નવયુગ સ્કૂલના 157 વિદ્યાર્થીઓ પ્રવાસે આવ્યા હતા

રાજકોટની નવયુગ સ્કૂલના પ્રવાસ દરમિયાન સાસણ ગીરમાં એક વિદ્યાર્થીનું સ્વિમિંગપુલમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે. ધોરણ 8માં અભ્યાસ કરતો 13 વર્ષીય હાર્દિક બારૈયા આ દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. નવયુગ સ્કૂલ, હાથીખાના, રાજકોટના ધોરણ-5થી 12ના કુલ 157 વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકો સોમનાથ, સાસણ અને દેવળિયાના પ્રવાસે નીકળ્યા હતા. પ્રતિ વિદ્યાર્થી 950 રૂપિયા પ્રવાસ ફી લેવામાં આવી હતી. આજે 19 ડિસેમ્બરે સોમનાથ દર્શન કર્યા બાદ તેઓ બપોરે 12 વાગ્યાની આસપાસ સાસણ-તાલાલા રોડ પર આવેલી 'ધ ગીર ગેટ વે હોટલ'માં જમવા અને નહાવા માટે રોકાયા હતા. હોટલના સ્વિમિંગપુલમાં નહાવા દરમિયાન હાર્દિક બારૈયા અકસ્માતે ડૂબી ગયો હતો. આ ઘટના બનતા જ હોટલમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાળકને તાત્કાલિક તાલાલાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના મહિલા તબીબ ડો. ઉર્જાએ હાર્દિકને મૃત જાહેર કર્યો હતો. આ દુર્ઘટનાને પગલે બાળકોનો પ્રવાસ ટૂંકાવી દેવામાં આવ્યો હતો. શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે બસોમાં રાજકોટ પરત ફરવા રવાના થયા હતા. જોકે, ત્રણ શિક્ષકો હાર્દિકના માતા-પિતા રાજકોટથી તાલાલા પહોંચે તેની રાહ જોઈને સિવિલ હોસ્પિટલમાં રોકાયા છે. આ સમાચાર મળતા જ તાલાલા-સાસણ પંથકના સામાજિક આગેવાનો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિવારને મદદ કરવા આગળ આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:21 pm

પાટણમાં 12.19 લાખમાંથી 1.7 લાખ મતદારોના નામ કપાયા:મૃત્યુ, સ્થળાંતર અને અન્ય કારણોસર 'અનકલેક્ટેબલ' જાહેર, 18 જાન્યુઆરી સુધી નાગરિકો હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે

પાટણ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા મતદાર યાદી સુધારણાની કામગીરીનો નવીનતમ અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. 19 ડિસેમ્બર, 2025 સુધીના આંકડા મુજબ, જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પર કુલ 1,07,366 ફોર્મ વિવિધ કારણોસર 'અનકલેક્ટેબલ' (પરત) જાહેર થયા છે. આ આંકડો કુલ મતદારોના 8.81 ટકા જેટલો છે. આ રિપોર્ટમાં રાધનપુર, ચાણસ્મા, પાટણ અને સિદ્ધપુર બેઠકો પર થયેલી કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી છે. જિલ્લાના કુલ 1,369 પોલિંગ બૂથ પર 12,19,104 મતદારો નોંધાયેલા છે, જેમાંથી 11,11,738 મતદારોનું ડિજિટાઈઝેશન પૂર્ણ થયું છે. ફોર્મ પરત આવવાના મુખ્ય કારણોમાં 'સ્થળાંતર' સૌથી વધુ છે, જેમાં 57,513 મતદારો કાયમી ધોરણે અન્યત્ર સ્થળાંતર કરી ગયા છે. આ ઉપરાંત, જિલ્લામાં 25,432 મતદારોના અવસાન થયા હોવાનું નોંધાયું છે. જ્યારે 12,965 મતદારો તેમના રહેઠાણના સરનામે મળી આવ્યા નથી .અન્ય કારણોમાં 6,654 કિસ્સામાં મતદારો અગાઉથી જ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે, અને 4,802 ફોર્મ અન્ય પરચુરણ કારણોસર પરત કરવામાં આવ્યા છે. વિધાનસભા બેઠક મુજબ વિશ્લેષણ કરતા, પાટણ વિધાનસભા બેઠક પર સૌથી વધુ 10.99 ટકા એટલે કે 34,884 ફોર્મ પરત આવ્યા છે. સિદ્ધપુરમાં 9.04 ટકા, રાધનપુરમાં 8.55 ટકા અને ચાણસ્મામાં સૌથી ઓછા 6.56 ટકા ફોર્મ પરત થયા છે. હાલમાં, સમગ્ર જિલ્લામાં ડિજિટાઈઝેશનની કામગીરી 91.19 ટકા સુધી પહોંચી છે. હક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવા માટે 19 જાન્યુઆરી, 2025 સુધીનો સમયગાળો છે. નોટિસ ઇશ્યુ કરાવી સુનાવણી અને ચકાસણીનો સમય 10 ફેબ્રુઆરી, 2025 સુધી રહેશે. આખરી મતદાર યાદી 17 ફેબ્રુઆરી, 2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:20 pm

નામ ઉમેરવા માટે ફોર્મ નંબર 6 ભરી શકાશે:વડોદરા જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હેઠળ ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ કરાઈ, ડ્રાફ્ટ મતદારયાદીમાં 21.85 લાખ મતદારોનો સમાવેશ કરાયો

વડોદરા જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision - SIR)ના પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઈ છે. આ ઝુંબેશ હેઠળ તૈયાર કરવામાં આવેલી મુસદ્દા (ડ્રાફ્ટ) મતદારયાદીની પ્રસિદ્ધિ આજે કરવામાં આવી છે. વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ડ્રાફ્ટ મતદારયાદીમાં કુલ ૨૬,૮૯,૧૧૭ મતદારોમાંથી ૨૧,૮૫,૨૦૫ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદી ઓનલાઈન https://voters.eci.gov.in વેબસાઈટ પર જોઈ શકાય છે. વધુમાં, કુલ ૫,૦૩,૯૧૨ મતદારો ASD (Absent, Shifted, Died) અને ગણતરી ફોર્મ પરત ન કરનારા મતદારોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી https://ceo.gujarat.gov.in અને https://vadodara.nic.in વેબસાઈટ પર ઓનલાઈન તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી, વડોદરા મહાનગરપાલિકા તથા જિલ્લા પંચાયત કચેરીઓમાં રૂબરૂ જોઈ શકાશે. જે મતદારોનું મેચિંગ/મેપિંગ વર્ષ 2002ની મતદારયાદી સાથે યોગ્ય રીતે થયેલ નથી, તેમને નોટિસ આપી નિયત પુરાવા મેળવવા આગામી તબક્કામાં કાર્યવાહી હાથ ધરાશે. આ ઉપરાંત, જિલ્લામાં અગાઉ ૨,૫૭૬ મતદાન મથકો હતા, જેનું પુનર્ગઠન કરી હવે ૨,૮૧૮ મતદાન મથકો કરવામાં આવ્યા છે. હક્ક, દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તા. ૧૯ ડિસેમ્બર ૨૦૨૫થી તા. ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ (રવિવાર સુધી) રહેશે. નોટિસ તબક્કો (નોટિસ ઇશ્યુ, સુનાવણી તથા ચકાસણી), ગણતરી ફોર્મ પર નિર્ણય તેમજ EROs દ્વારા હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ તા. ૧૯ ડિસેમ્બર ૨૦૨૫થી ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી કરવામાં આવશે. મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ તા. ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ થશે. મતદારોને સુવિધા માટે જિલ્લાની તમામ વિધાનસભા વિસ્તારોમાં ફોર્મ-૬ (નામ ઉમેરવા), ફોર્મ-૭ (નામ ડિલીટ કરવા) તથા ફોર્મ-૮ (સુધારા માટે) મેળવવા અને જમા કરાવવા કુલ ૪૫ કલેક્શન અને ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા છે. આ સેન્ટર્સ પર જાહેર રજા સિવાયના કાર્યદિવસોમાં ઓફિસ સમયે ફોર્મ મેળવી કે જમા કરાવી શકાશે. વધુમાં, ઓનલાઈન https://voters.eci.gov.in પર પણ ફોર્મ ભરી શકાય છે. વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારોને અપીલ કરી છે કે તેઓ પોતાનું નામ મતદારયાદીમાં છે કે નહીં તે તપાસી લે અને જરૂરી હોય તો સમયમર્યાદામાં અરજી કરે, જેથી લોકશાહીના મહાપર્વમાં તેઓ ભાગ લઈ શકે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:17 pm

મહાયુતિનું ટેન્શન વધારવા ઠાકરે બંધુ એક થયા, BMCની ચૂંટણી માટે તૈયાર કર્યો સીટ શેયરિંગનો પ્લાન

Brihanmumbai Municipal Corporation Election : મહારાષ્ટ્રના રાજકારણમાં ખૂબ જ મહત્ત્વની ‘બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી’ લઈને શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ ગઠબંધન કર્યું છે. ઠાકરે બંધુઓએ એક દાયકા જૂના રાજકીય મતભેદો ભૂલી એક થયા છે અને બંને નેતાઓએ ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને હરાવવાનો પ્લાન ઘડી કાઢ્યો છે. રિપોર્ટ મુજબ, બંને નેતાઓએ સીટ શેયરિંગ ફોર્મ્યૂલા લગભગ ફાઈનલ કરી નાખી છે. ચર્ચા મુજબ બંને નેતાઓ એકબીજાના ઉમેદવારોનો પ્રચાર પણ કરશે. ઠાકરે બંધુ ‘MaMu’ ફેક્ટરને ધ્યાને રાખી લડશે ચૂંટણી

ગુજરાત સમાચાર 19 Dec 2025 6:12 pm

બેક ટુ સ્કુલ અને ગ્રુપ ડેનું આયોજન:અમદાવાદની પ્રિ.એમ.સી.શાહ કોમર્સ કોલેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો

અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી નવગુજરાત કેમ્પસ સ્થિત પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી એન. ડી. શાહના માર્ગદર્શન હેઠળ કોલેજના સાંસ્કૃતિક સમિતિ દ્વારા તારીખ 9/12/2025ના રોજ બૅક ટુ સ્કૂલ ડે તથા ગ્રુપ ડેનું આનંદમય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ શાળાજીવનની યાદોને તાજી કરતી વેશભૂષા સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સાથે સાથે ગ્રુપ ડે અંતર્ગત વિવિધ સર્જનાત્મક જૂથોએ પોતાની અનોખી થીમ રજૂ કરી. તેમાં ખાસ કરીને વકીલ અને ડૉક્ટર જેવા વ્યવસાય આધારિત જૂથો વિદ્યાર્થીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યા. તેમના વેશભૂષા, અભિનય અને સંદેશાત્મક રજૂઆતે કાર્યક્રમને જીવંત બનાવ્યો. સમગ્ર કાર્યક્રમમાં આનંદ, સ્મૃતિ અને સહભાગિતાનો સુંદર સંગમ જોવા મળ્યો. સાંસ્કૃતિક સમિતિના સંયોજિત પ્રયાસોથી કાર્યક્રમ સફળ રહ્યો અને વિદ્યાર્થીઓમાં કોલેજ જીવન પ્રત્યે ઉત્સાહ અને એકતા ભાવને વધુ મજબૂત બનાવ્યો. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે રમઝટ ગ્રુપ અને બેક ટુ સ્કુલ ગ્રુપ જેવા ઈનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:05 pm

જૂનાગઢના દોલતપરામાં અશાંત ધારાની માંગ:ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ‘2027 માં શું મોઢું લઈને આવશો ?’, દોલતપરાના દસારામ વિસ્તામાં માં અશાંત ધારો લાગુ કરવા રહીશોએ આવેદનપત્ર પાઠવ્યું,ઉગ્ર આંદોલનની ચીમકી.

શહેરના દોલતપરા વિસ્તારમાં આવેલી દાસારામ સોસાયટી, મહેશ્વરી અને નૂતનનગરના રહીશોએ આજે મોટી સંખ્યામાં એકઠા થઈ જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. હિન્દુ બહુમતી ધરાવતી આ સોસાયટીઓમાં અન્ય ધર્મના લોકો દ્વારા મકાન ખરીદી અટકાવવા અને વિસ્તારમાં તાત્કાલિક 'અશાંત ધારો' લાગુ કરવાની માંગ સાથે સ્થાનિકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં રહીશોએ રજૂઆત કરી છે કે આ સોસાયટીઓ શ્રમિક વર્ગની છે અને સંપૂર્ણ હિન્દુ વસ્તી ધરાવે છે. જો અહીં અન્ય ધર્મના લોકો રહેવા આવશે, તો રહેણી-કહેણી અને ધાર્મિક ઉત્સવોની ઉજવણીમાં અવરોધ ઊભો થશે. રહીશોએ ભીતિ વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં ધાર્મિક લાગણી દુભાવાને કારણે અનિચ્છનીય ઘટનાઓ બની શકે છે, જેના કારણે હિન્દુ પરિવારોએ પલાયન થવું પડશે. શ્રમિક લોકો આર્થિક રીતે સક્ષમ ન હોવાથી મોંઘા ભાવે અન્ય જગ્યાએ મકાન લઈ શકે તેમ નથી, જેથી પરિવારની સુરક્ષાનો સવાલ ઊભો થયો છે. બજરંગ દળ અને સ્થાનિકોની ચીમકી આ રજૂઆતમાં જોડાયેલા બજરંગ દળના કાર્યકર્તા વિપુલ આહિરે તંત્ર અને શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી અશાંત ધારા માટે વારંવાર રજૂઆત કરવામાં આવે છે, છતાં તંત્ર અને ભાજપના નેતાઓ કેમ મૌન છે? શ્રમિક લોકો ધંધા-રોજગાર બંધ રાખીને અહીં ન્યાય માંગવા આવ્યા છે. જો વહેલી તકે નિર્ણય નહીં લેવાય તો 2027 માં કયા મોઢે મત માંગવા આવશો ? હવે આગામી સમયમાં જફર મેદાનમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સ્થાનિક રહીશ જશુબેન ડોબરીયાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં બહેનો-દીકરીઓને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. અન્ય ધર્મના લોકોની રહેણી-કહેણી અલગ હોવાથી સામાજિક તંગદીલી સર્જાય છે. તંત્રએ અમારી લાગણી સમજીને તાત્કાલિક અશાંત ધારો લાગુ કરવો જોઈએ.સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:01 pm

મતદારયાદી સુધારણા અંતર્ગત 11.17 લાખ મતદારોને નોટિસ અપાશે:36.23 લાખ મતદારોની નોંધણી, 25.05 લાખનું મેપીંગ પૂર્ણ, શનિવારથી ફોર્મ 6 અને ફોર્મ 8 ભરવાની પ્રક્રિયા શરૂ

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લામાં આજે મુસદ્દા મતદારયાદી એટલે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ પ્રસિદ્ધિની સાથે જ જે 11,17,882 મતદારોનું મેપીંગ બાકી છે, તેમને વહીવટી તંત્ર દ્વારા ઔપચારિક નોટીસ પાઠવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ નોટીસ મેળવનાર દરેક મતદારે સુનાવણી દરમિયાન જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે, અન્યથા તેમનો સમાવેશ આખરી યાદીમાં થઈ શકશે નહીં. 11.17 લાખ મતદાર વિગતોનું મેપીંગ બાકીઆ આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, મુસદ્દા મતદારયાદીમાં કુલ 36,23,193 મતદારોની નોંધણી કરવામાં આવી છે. જેમાંથી 25,05,311 મતદારોનું સફળતાપૂર્વક મેપીંગ કરવામાં આવ્યું છે, જ્યારે 11,17,882 મતદારો એવા છે જેમના રહેઠાણ કે અન્ય વિગતોનું મેપીંગ બાકી છે. જાતિવાર વિગતોમાં 18,78,949 પુરૂષ મતદારો, 17,44,144 સ્ત્રી મતદારો અને 100 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. જે મતદારોના 12,50,319 જેટલા EFS ફોર્મ પરત મળ્યા નથી, તેમનો હાલ આ યાદીમાં સમાવેશ કરાયો નથી. પ્રતિદિન 50 લોકોને એક BLO નોટીસ આપશેમેપીંગ ન થયેલા 11,17,882 મતદારો માટે હવે નોટીસનો તબક્કો 19 ડિસેમ્બર 2025થી 10 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. સંબંધિત મતદાર નોંધણી અધિકારી દ્વારા આ તમામ મતદારોને પર્સનલ નોટીસ પાઠવવામાં આવશે. તંત્રના આદેશ મુજબ, પ્રતિદિન 50 લોકોને એક BLO નોટીસ આપશે. આ મતદારોએ નોટીસમાં જણાવ્યા મુજબના પુરાવાઓ સાથે સુનાવણીમાં હાજર રહેવાનું રહેશે, ત્યારબાદ જ તેમનું નામ 17 ફેબ્રુઆરી 2026ની આખરી યાદીમાં સમાવવામાં આવશે. સ્થળાંતરના કિસ્સામાં ફોર્મ નં. 8 ભરીને નવા વિસ્તારમાં નામ નોંધણી કરાવી શકાશેજે નાગરિકોના નામ યાદીમાં નથી અથવા જેમને સરનામું બદલવાનું છે, તેમના માટે આવતીકાલ એટલે કે શનિવારથી ફોર્મ 6 અને ફોર્મ 8 ભરવાની પ્રક્રિયા શરૂ થશે. હક્ક-દાવા અને વાંધા અરજીઓ માટે 19 ડિસેમ્બર 2025 થી 18 જાન્યુઆરી 2026 સુધીનો સમય નિર્ધારિત કરાયો છે. નવા અરજદારો ફોર્મ નં. S અને Declaration Form સાથે અરજી કરી શકશે. સ્થળાંતરના કિસ્સામાં ફોર્મ નં. 8 ભરીને નવા વિસ્તારમાં નામ નોંધણી કરાવી શકાશે, જેની આખરી પ્રસિદ્ધિ 19 ફેબ્રુઆરી, 2026ના રોજ થશે. આ સઘન કામગીરી દરમિયાન સુરત જિલ્લામાં ફરજ બજાવતા બે BLO કર્મચારીઓના દુઃખદ અવસાન થયા છે. આ બાબતે સુરત જિલ્લા કલેકટર સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે વહીવટી તંત્ર બંને મૃતક કર્મચારીઓના પરિવારના સંપર્કમાં છે. પ્રાથમિક તપાસમાં આ કુદરતી મૃત્યુ હોવાનું જણાયું છે અને કોઈ પણ પ્રકારના કામના ભારણ કે માનસિક દબાણને કારણે આ ઘટના બની હોવાના પુરાવા મળ્યા નથી. આ રીતે તમે તમારું નામ ચેક કરી શકશોમતદારોની સુવિધા માટે ASD યાદી સુરત કલેકટરની વેબસાઈટ www.surat.nic.in પર અને મુસદ્દા યાદી www.ceo.gujarat.gov.in પર મૂકવામાં આવી છે. આ ઉપરાંત, નાગરિકો ઓનલાઈન માધ્યમથી www.voters.eci.gov.in અથવા Voter Helpline Mobile App દ્વારા પણ ફોર્મ ભરી શકે છે. આ આખી પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી વર્ષ માટે ક્ષતિરહિત અને સચોટ મતદારયાદી તૈયાર કરવાનો છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:00 pm

73 લાખ વોટર્સનાં નામ કપાયાં:ગુજરાતમાં ડ્રાફ્ટ મતદારયાદી જાહેર, થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ પર ડ્રોનથી નજર રખાશે, ગોંડલ યાર્ડમાં ડુંગળીનો ભરાવો

SIR-2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાઈ રાજ્યમાં આજે એસઆઈઆરની ડ્રાફટ મતદાર યાદી જાહેર કરાઈ. મતદાર યાદીમાં તમારુ નામ છે કે નહીં તે ઓનલાઈ ચેક કરી શકશો. જો તમારુ નામ ન હોય તો 18 જાન્યુઆરી સુધી વાંધા અરજી કરી શકાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નમો સ્ટેડિયમમાં આજે IND VS SA અમદાવાદના નમો સ્ટેડિયમમાં આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ મેચની સિરિઝની છેલ્લી ટી20.. મોટી સંખ્યામાં લોકો બપોરથી જ સ્ટેડિયમ પહોંચવા લાગ્યા હતા. મેચને પગલે મેટ્રો 12.30 વાગ્યા સુધી ચાલુ રહેશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 278 બાર એસોસિએશનની આજે ચૂંટણી રાજ્યમાં 278 બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજાઈ. 01 લાખ જેટલા વકીલોએ એસોસિએશનના હોદેદારોની ચૂંટણીમાં ભાગ લીઝો. .સાંજે 5 વાગ્યા સુધી મતદાન થયું.. પરિણામો રાત્રે જાહેર કરવામાં આવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 2022માં ભાજપ કાર્યકર્તાની હત્યા કરી હતી અમદાવાદના ખાડિયામાં 2022માં ભાજપ કાર્યકર્તાની હત્યા કરનાર કુખ્યાત ડોન મોન્ટુ સહિત 4 આરોપીઓને આજીવન કેદની સજા...મોન્ટુ નામદાર, વિશ્વ રામી , જયરાજ દેસાઈ અને સુનિલ બજાણિયાને અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે સજા સંભળાવી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એરપોર્ટ પર ઉભા થશે હસ્તકલાના સ્ટોલ ગુજરાતના 10 એરપોર્ટ પર હસ્તકલાના સ્ટોલ્સ શરુ થશે. રાજકોટ,સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, પોરબંદર, કંડલા, મુંદ્રા, ભુજ અને કેશોદ પર સ્થાનિક કલાને પ્રોત્સાહન આપતા સ્ટોલ્સ લાગશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સગીરાઓ ગર્ભવતી થવાના ચિંતાજનક આંકડા મહેસાણા બાદ બોટાદમાં સગીરાઓ ગર્ભવતી થવાના ચિંતાજનક આંકડા. છેલ્લા ત્રણ વર્ષમાં 427 સગીરા પ્રેગ્નન્ટ થઈ. જેમાં ગઢડા તાલુકામાં આંકડામાં સતત વધારો જોવા મળ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 15 દિવસ ડિજિટલ અરેસ્ટ કરી 1.82 લાખ કરોડ પડાવ્યા વડોદરા શહેરના સિનિયર સિટીઝન મહિલાને 15 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 1 કરોડ 82 લાખ રુ. પડાવ્યા. તમારા નામનું સિમકાર્ડ આતંકવાદી પ્રવૃત્તિમાં વપરાયું છે અને તેનાથી 243 કરોડનું મની લોન્ડરિંગ થયાનું કહી મહિલાને ડરાવી પૈસા પડાવ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાર્ટી પર નજર રાખવા ડ્રોનનો ઉપયોગ કરાશે 31 ડિસેમ્બરે થતી પાર્ટીઝમાં નશાખોરો પર લગામ કસવા સુરત પોલીસનો માસ્ટર પ્લાન.. શહેરની આસપાસ આવેલા લક્ઝરી ફાર્મ હાઉસો અને ઓપન પ્લોટમાં થતી ખાનગી પાર્ટીઓ પર આ વખતે પોલીસ ડ્રોનથી નજર રાખશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભોજનની હલકી ગુણવત્તાથી વિદ્યાર્થીઓ પરેશાન રાજકોટની સમરસ હોસ્ટેલમાં ભોજનમાંથી ઈયળો નીકળી. એટલું જ નહીં ઓવરઓલ ભોજનની ગુણવત્તા જ સાવ હલકી હોવાથી વિદ્યાર્થીઓ પરેશાન છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આ સિઝનમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ.20 કિલોના ભાવ રૂ.51થી લઈ 450 સુધી બોલાયા..1.75 લાખ કટ્ટાની આવક થતા હાલ પુરતી નવી આવક બંધ કરાઈ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:57 pm

ભરૂચમાં 13.10 લાખ 2.15 લાખ મતદારોના નામ દૂર:જિલ્લાની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 18 જાન્યુઆરી સુધી નાગરિકો હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે

ભારતના ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર તા.01 જાન્યુઆરી 2026ની લાયકાત તારીખના સંદર્ભમાં ભરુચ જિલ્લામાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SIR-2026) પ્રક્રિયા અમલમાં છે. આ પ્રક્રિયાના ભાગરૂપે આજે ભરુચ જિલ્લાની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ અંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભરુચ જિલ્લામાં જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરુચ અને અંકલેશ્વર એમ કુલ પાંચ વિધાનસભા મતવિસ્તારો આવેલાં છે. 2025ની મતદારયાદી મુજબ જિલ્લામાં કુલ 13,10,600 મતદારો નોંધાયેલા હતા. SIR-2026 અંતર્ગત Enumeration Form (EF)નું વિતરણ, સંગ્રહ અને ડિજિટાઇઝેશનની કામગીરી 100 ટકા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં કુલ મતદારોમાંથી 10,95,420 મતદારો એટલે કે 83.58 ટકાએ ફોર્મ પરત જમા કરાવ્યાં છે. પ્રક્રિયા દરમિયાન કુલ 2,15,180 મતદારો એટલે કે 16.42 ટકા મતદારોને Uncollectable તરીકે માર્ક કરવામાં આવ્યા છે. જેમાં મૃત્યુ પામેલા 68,107 મતદારોનો પણ સમાવેશ થાય છે. આવા તમામ મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. મતદારોની સુવિધા અને એક મતદાન મથક પર 1200થી વધુ મતદારો ન રહે તે હેતુસર જિલ્લામાં મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. પરિણામે મતદાન મથકોની સંખ્યા 1,342થી વધારી 1,493 કરવામાં આવી છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ મતદાર પોતાનું નામ દૂર થયેલ હોવાનું જણાય તો તે Form-6 ભરી પુનઃ નોંધણી કરાવી શકે છે. ફોર્મની યોગ્ય ચકાસણી બાદ આવા મતદારોના નામ મતદારયાદીમાં પુનઃ સામેલ કરવામાં આવશે. ડ્રાફ્ટ મતદાર યાદી bharuch.nic.in વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:54 pm

પ્રશ્નાવડામાં ગૌચર જમીન પર ખાનગી કંપનીનું ગેરકાયદે ખનન:ગ્રામજનો-ખેડૂતોનો વિરોધ, તલાટીએ ખનીજ વિભાગને જાણ કરી

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે ગૌચરની જમીન પર ખાનગી કંપની દ્વારા રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરાતા ખેડૂતો અને પશુપાલકોમાં રોષ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ (સિદ્ધિ સિમેન્ટ) કંપની દ્વારા ગામની ગૌચર તરીકે નોંધાયેલી જમીનમાં ગ્રામજનોની પૂર્વ જાણકારી કે મંજૂરી વગર રસ્તો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ બાબતની જાણ થતાં જ ગામના ખેડૂતો અને પશુપાલકો ઘટનાસ્થળે એકઠા થયા હતા અને કંપનીની કામગીરીનો વિરોધ કર્યો હતો. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે ગૌચરની જમીન પશુઓના ચરાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમાં કોઈપણ પ્રકારની કામગીરી કરવી ગેરકાયદેસર છે. કંપની દ્વારા મંજૂરી વગર કામગીરી શરૂ કરાતા ગામના લોકોના હિતોને અસર થઈ રહી છે. આ સમગ્ર મામલે પ્રશ્નાવડા ગામના તલાટી કમ મંત્રી અજીતભાઈ મોરીએ જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆતના આધારે સ્થળ પર તપાસ કરવામાં આવી છે. આ અંગે ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક રીતે રસ્તાની કામગીરી બંધ નહીં કરવામાં આવે તો મામલો ઉચ્ચ કક્ષાએ રજૂ કરી આંદોલન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:42 pm

પ્રેમના ચક્કરમાં સો. મીડિયા પર હાઈ-હેલો કરશો તો ફસાશો:જાનવી-પૂજાએ જેતપુરના વેપારી સહિત અનેકને ફસાવ્યાનો CDR તપાસમાં ઘટસ્ફોટ; ફરિયાદીની ઓળખ ગુપ્ત રખાશે

રાજકોટ જિલ્લાના જામકંડોરણા પોલીસે 12 ડિસેમ્બરના રોજ હનીટ્રેપ કરતી બે મહિલા જાનવી અને પૂજા સહિત સાત આરોપીની ટોળકીને ઝડપી પાડી તપાસ શરૂ કરી હતી. આરોપીઓના CDR અંગે તપાસ કરવામાં આવતા અનેક લોકો આ ગેંગનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. જે પૈકી વધુ એક ભોગબનનાર વેપારીએ ફરિયાદ નોંધાવતા આ ટોળકી સામે જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ તેમની મોડેસ ઓપરેન્ડી મુજબ જેતપુરના વેપારીને સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કેળવી બાદમાં મળવા બોલાવી રૂપિયા દોઢ લાખ પડાવ્યાં હતાં. હજુ પણ CDRમાં મળેલ નંબર પરથી સંપર્ક કરી ભોગબનનાર લોકોને ફરિયાદ નોંધાવવા પોલીસ અપીલ કરી રહી છે. આ કેસમાં કોઈ ભોગબનનાર ફરિયાદ નોંધાવશે તો તેમની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે, તેની ખાતરી જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવી છે. આરોપીઓના મોબાઈલ ડેટાની તપાસમાં અનેક લોકો સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટરાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, 12 ડિસેમ્બરના રોજ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપ કરતી ગેંગ સામે ફરિયાદ નોંધઈ હતી. આરોપીઓને પકડી પાડવા માટે આ ગેંગ પાછળ 10થી વધુ પોલીસ કામે લાગી હતી. પોલીસે હનીટ્રેપ કેસમાં વિપુલ સુસરા, સવજી ઉર્ફે સાગર ઠુંગા, વિશાલ પરમાર, વિજય જોગડીયા, પૂજા સિઘ્ધપુરા, ગોપાલ સિધ્ધપુરા અને જાનવી પંચોલીની ધરપકડ કરી છે, જ્યારે આ કેસમાં ફરાર અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. પકડાયેલ આરોપીઓના મોબાઈલ ડેટા તેમજ CDR મેળવી ટેક્નિકલ સોર્સીસ મદદથી પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં મોટા પ્રમાણમાં સંપર્ક મળી આવ્યા હતા. જે તમામની પૂછપરછ કરી હનીટ્રેપ થયું છે કે કેમ? તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. ભોગબનનારને ગભરાયા વગર ફરિયાદ નોંધાવવા પોલીસની અપીલપોલીસની આ જ તપાસ જેતપુરના એક શખસ સાથે પણ આ ટોળકીએ સોશિયલ મીડિયા મારફત સંપર્ક કેળવી બાદમાં હનીટ્રેપ આચરી તેની પાસેથી મસ મોટી રકમની ડિમાન્ડ કરવામાં આવી હતી. જે પછી રકઝકના અંતે તેની પાસેથી રૂપિયા દોઢ લાખ પડાવી તેને છોડી મુકવામાં આવ્યા હતાં. જે અંગે ફરિયાદ નોંધાવતા પોલીસ આ ટોળકી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધી ધરપકડ કરી છે. આ ઉપરાંત CDR ડેટા મુજબ વધુ લોકો ભોગ બન્યા હોવાનો પોલીસને અનુમાન છે, જેથી વધુમાં વધુ લોકો પોલીસનો સંપર્ક કરી ગભરાયા વગર ફરિયાદ નોંધાવે તેવી અપીલ કરવામાં આવી છે. ભોગબનનાર અંગે સંપૂર્ણ માહિતી ગુપ્ત રાખવામાં આવશે તેવી ખાતરી પોલીસ દ્વારા આપવામાં આવી છે. મહિલાએ વેપારીને અવાવરું જગ્યાએ લઈ જઈ બિભત્સ હરકત કરીઆરોપીઓ પૈકી એક મહિલાએ પ્રથમ જેતપુરના વેપારી સાથે સંપર્ક કેળવી બાદમાં તેની સાથે વ્હોટ્સએપ પર ચેટિંગ કરી મળવા બોલાવ્યાં હતા. જે બાદ મહિલા વેપારીને લઇ અવાવરું જગ્યાએ લઇ ગઈ હતી, જ્યાં ઉભા રહી ગાડીમાં વેપારીનો હાથ પકડી, હગ કરી બીભત્સ ચેનચાળા શરૂ કર્યા હતાં. આ જ દરમિયાન પાછળથી મહિલાના સાથી આરોપીઓ આવી મહિલાના પરિવારજન તરીકે ઓળખ આપી વેપારી સાથે મારકૂટ કરી હતી. વેપારીને બ્લેકમેલ કરી દોઢ લાખ પડાવ્યાંમહિલાને પરત મોકલી વેપારીને દુષ્કર્મ સહીત ખોટા કેસની ધમકીઓ આપી ફસાવી દેવા બ્લેકમેલ કર્યા હતા અને તેની પાસેથી મોટી રકમની માંગણી કરવામાં આવી હતી. જે રકજકના અંતે 1.50 લાખમાં સેટિંગ થતા વેપારી પાસેથી 1.50 લાખ પડાવી વેપારીને છોડી દેવામાં આવ્યા હતા. વેપારી પોતાની આબરૂ જવા બીકે ફરિયાદ ન કરતા હતા, પરંતુ પોલીસે વિશ્વાસ અપાવી ઓળખ છુપાવાની ખાતરી આપતા અંતે વેપારીએ ફરિયાદ નોંધાવતા જેતપુર પોલીસે હનીટ્રેપ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સાત આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પકડાયેલ આરોપી પૈકી જાનવી પંચોલી સામે તાજેતરમાં થોડા સમય પૂર્વે જૂનાગઢના ભેંસાણ પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપ અંગે ફરિયાદ નોંધાઈ ચુકી છે. જ્યારે બાકીના આરોપી વિપુલ સુસરા સામે 3 ગુના, સવજી ઠુંગા અને વિશાલ પરમાર વિરુદ્ધ એક-એક ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. શું હતી મોડેસ ઓપરેન્ડી? પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી જુદા-જુદા વેપારીઓનો સંપર્ક શોધી બાદમાં વેપારીને વ્હોટ્સએપ પર હાય, હેલો અને હાઉ આર યુ જેવા મેસેજ કરે. બાદમાં વાત શરૂ કરતા હતા. જેમાં સામે રિસ્પોન્સ મળે તો આગળ વાત કરી બાદમાં તેને જાળમાં ફસાવી મળવા માટે બોલાવતા હતાં. તેમાં પણ જો કોઈ ટુ-વ્હિલર લઈને આવેતો મળવાનું ટાળી દેતા હતાં, કારણ કે તેમનો પ્લાન ફોર-વ્હિલરમાં આગળ અવાવરું જગ્યાએ લઇ જવાનો રહેતો હતો. ફોર-વ્હિલર લઈને વેપારી આવે તો તેની સાથે અવાવરું જગ્યાએ મળવા પહોંચી બાદમાં ગેંગના બાકીના સભ્યો આવી મહિલાના ભાઈ, પિતા, પતિ, મામા સહિતની જુદી-જુદી ઓળખ આપી વેપારી સાથે મારામારી કરી દુષ્કર્મ જેવા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. જો કેસ ન કરવો હોય તો રૂપિયા આપવા પડશે કહી રૂપિયાની માંગણી કરી રૂપિયા પડાવી લેતા હતા. આરોપીઓ સિલેક્ટેડ લોકોને જ ટાર્ગેટ બનાવતાઉલ્લેખનીય છે કે, જો કોઈ જાહેરજીવન સાથે સંકળાયેલ વ્યક્તિ એટલે કે પોલીસ અથવા તેના પરિજનો, વકીલ અથવા તેના પરિજનો, રાજનેતા કે તેના પરિજનો આ ટોળકીની જાળમાં ફસાય જાય તો તેને છોડી દેતા હતાં. તેની પાસે કોઈ રૂપિયાની માંગણી કરતા ન હતા, કારણ કે તેનાથી પોતે પોલીસ પકડમાં આવી જશે તેની જાણ હતી. માટે આરોપીઓ મોટા ભાગ વેપારીઓ તેમજ આધેડ અને સિનિયર સિટિઝનને ટાર્ગેટ કરવાનું નક્કી કરતા હતા.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:36 pm

મતદારયાદી સુધારણામાં પંચમહાલમાં 1.23 લાખ નામો રદ:મૃત્યુ, સ્થળાંતર, ડુપ્લિકેશનથી કમી; 18 જાન્યુઆરી સુધી વાંધા-સૂચનો સ્વીકારાશે

ભારતના ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં 19 ડિસેમ્બરના રોજ મુસદ્દા મતદારયાદીની સત્તાવાર પ્રસિદ્ધિ કરવામાં આવી છે. આ સુધારણા પ્રક્રિયામાં જિલ્લામાંથી કુલ 1,23,000 જેટલા મતદારોના નામો વિવિધ કારણોસર કમી કરવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અજય દહિયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, 14 ડિસેમ્બર,2025 સુધી ચાલેલી સઘન ચકાસણી ઝુંબેશ બાદ આ નામો રદ કરાયા છે. કુલ 13,49,760 નોંધાયેલા મતદારોમાંથી 1.23 લાખ નામો કમી થયા છે, જેના મુખ્ય કારણોમાં કાયમી સ્થળાંતર, મૃત્યુ અને ડુપ્લિકેશનનો સમાવેશ થાય છે. કમી કરાયેલા નામો પૈકી સૌથી વધુ 53,302 મતદારોનું કાયમી સ્થળાંતર થયું છે. આ ઉપરાંત, 50,099 મતદારોના મૃત્યુ થયા છે, જ્યારે 11,586 મતદારોનો સંપર્ક થઈ શક્યો નથી અથવા તેઓ લાંબા સમયથી ગેરહાજર છે. ડુપ્લિકેશનને કારણે 7022 અને અન્ય કારણોસર 911 નામો રદ કરવામાં આવ્યા છે. વિધાનસભા બેઠક મુજબ સૌથી વધુ 34,135 નામો હાલોલ બેઠક પરથી કમી થયા છે. ગોધરામાંથી 31,992, કાલોલમાંથી 23,025, શહેરામાંથી 17,507 અને મોરવા હડફમાંથી ૧૬,૩૪૧ નામો કમી કરાયા છે. હાલની સ્થિતિએ મુસદ્દા મતદારયાદીમાં કુલ 12,26,760 મતદારોનો સમાવેશ થાય છે. તા. 01/10/2025 મુજબ, ગોધરામાં 2,91,014 હાલોલમાં 2,84,111, શહેરામાં 2,70,386 કાલોલમાં 2,67,547 અને મોરવા હડફમાં 2,35,789 મતદારો નોંધાયેલા છે. જિલ્લા કલેકટરે નાગરિકોને અપીલ કરી છે કે આ મુસદ્દા યાદી જિલ્લાના તમામ 1609 મતદાન મથકો પર જાહેર જનતા માટે ઉપલબ્ધ રહેશે. નાગરિકો 19 ડિસેમ્બર, 2025 થી 18 જાન્યુઆરી, 2026 સુધી યાદીમાં નામ ઉમેરવા કે સુધારા કરવા માટે અરજી કરી શકશે. વાંધા અરજીઓના નિકાલ બાદ 17 ફેબ્રુઆરી, 2026ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. કોઈપણ મૂંઝવણ માટે નાગરિકો જિલ્લાની હેલ્પલાઇન 1950 પર સંપર્ક કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:34 pm

સંયુક્ત રાષ્ટ્રમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીનું મુખ્ય પ્રવચન:આર્ટ ઓફ લિવિંગ સાથે અમદાવાદ ઉજવશે બીજો વિશ્વ ધ્યાન દિવસ

ગત વર્ષે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 21 ડિસેમ્બરને “વિશ્વ ધ્યાન દિવસ” તરીકે જાહેર કર્યા બાદ, વિશ્વભરમાં આ દિવસની વાર્ષિક ઉજવણી કરવામાં આવી રહી છે. માનસિક શાંતિ, ભાવનાત્મક સંતુલન અને વૈશ્વિક એકતાનો સંદેશ આપતો આ દિવસ આ વર્ષે પણ ઉજવાશે. આ વૈશ્વિક પહેલના ભાગરૂપે, આર્ટ ઓફ લિવિંગ અમદાવાદ ચેપ્ટર દ્વારા શહેરમાં વિશ્વ ધ્યાન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવશે. આ અવસરે અમદાવાદના નાગરિકો માટે 21 ડિસેમ્બરના સાંજે નિઃશુલ્ક ધ્યાન સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે સાબરમતી રિવરફ્રન્ટ એમ્ફિથિયેટર શાહીબાગ ખાતે “કીર્તન ક્લબિંગ” અને ધ્યાનસત્રનું આયોજન કરવામાં આવ્યું છે જેનો સમય સાંજે 7:30 થી 10:30નો રહેશે. આ ઉપરાંત સાંજે 8:30 વાગ્યે આર્ટ ઓફ લિવિંગ જ્ઞાનક્ષેત્ર સેટેલાઈટ, આર્ટ ઓફ લિવિંગ જ્ઞાનક્ષેત્ર નરોડા તેમજ આર્ટ ઓફ લિવિંગ અમદાવાદના અન્ય 41 કેન્દ્રો પર આ ધ્યાનસત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી વિશ્વભરના કરોડો લોકો સાથે લાઇવ ઓનલાઇન માધ્યમ દ્વારા સંયુક્ત ધ્યાન કરાવશે, જેમાં અમદાવાદના નાગરિકો પણ ભાગ લઈ શકશે. ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગ્યે “વર્લ્ડ મેડિટેટ્સ વીથ ગુરુદેવ” નામના આ વૈશ્વિક લાઇવસ્ટ્રીમ કાર્યક્રમ માં યુટ્યુબ મારફતે વિશ્વભરના કરોડો લોકો એકસાથે ધ્યાન કરશે. વિશ્વ ધ્યાન દિવસના સંદર્ભમાં, 19 ડિસેમ્બરના રોજ ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા ધ્યાનસત્ર યોજાયું હતું. આ કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રના વરિષ્ઠ અધિકારીઓ, વૈશ્વિક નેતાઓ, રાજદૂત તથા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 45 વર્ષથી ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી 180થી વધુ દેશોમાં ધ્યાન અને માનવ મૂલ્યોના પ્રચારમાં કાર્યરત છે. તેમના મતે, ધ્યાન માનસિક સ્પષ્ટતા, ભાવનાત્મક સ્થિરતા અને સામાજિક સંવાદિતા વિકસાવવાનું સૌથી અસરકારક સાધન છે. વૈશ્વિક શાંતિ અને સંઘર્ષ નિવારણ માટે તેમના પ્રયાસોમાં ધ્યાનની પરિવર્તનકારી શક્તિ સ્પષ્ટ રીતે જોવા મળે છે. ભૌગોલિક રાજકીય સંઘર્ષોથી લઈને વ્યક્તિગત જીવનના પડકારો સુધી, ધ્યાન એક સર્વવ્યાપી ઉકેલરૂપે ઉભરી આવે છે. આંતરિક શાંતિ દ્વારા બાહ્ય વિશ્વમાં સમરસતા અને સહકાર સ્થાપિત કરવામાં ધ્યાન મહત્વની ભૂમિકા ભજવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પ્રથમ વિશ્વ ધ્યાન દિવસના ઉપલક્ષમાં ગુરુદેવ સાથેના લાઇવ ધ્યાન સત્રમાં વિશ્વના 85 લાખથી વધુ લોકો જોડાયા હતા, જેના પરિણામે 6થી વધુ વૈશ્વિક વિક્રમો સર્જાયા હતા.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:32 pm

કાંકરિયા શાળામાં 667 વિદ્યાર્થીઓએ ચિત્ર હરીફાઈમાં ભાગ લીધો:સર્જનાત્મકતા અને કલાપ્રતિભા વિકસાવવા આયોજન કરાયું

કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને કલાપ્રતિભા વિકસાવવા માટે ચિત્ર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરીફાઈમાં ધોરણ મુજબ કુલ 667 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હરીફાઈ દરમિયાન વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા, દેશભક્તિ, ભારતીય સંસ્કૃતિ અને સામાજિક જાગૃતિ જેવા વિવિધ વિષયો પર મનોહર ચિત્રો દોર્યા હતા. તેમણે પોતાની કલાત્મક અભિવ્યક્તિ અને કલ્પનાશક્તિ દ્વારા દર્શકોને પ્રભાવિત કર્યા હતા. શાળાના આચાર્ય બિપીનચંદ્ર પંચાલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતાં જણાવ્યું હતું કે, આવી પ્રવૃત્તિઓ બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત ઉપયોગી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના કો-ઓર્ડીનેટર, ચિત્રશિક્ષકો, વર્ગશિક્ષકો અને અન્ય તમામ કર્મચારીઓએ સક્રિય સહયોગ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:27 pm

સમી કોલેજમાં યોગ અને માનસિક સ્વાસ્થ્ય પર વ્યાખ્યાન:પતંજલિ ચિકિત્સાલયના ડૉ. હેતલ પ્રજાપતિએ માર્ગદર્શન આપ્યું

સમીની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે 19 ડિસેમ્બર, 2025ના રોજ માનસિક સ્વાસ્થ્ય માટે યોગનું મહત્વ વિષય પર એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સપ્તધારાની વ્યાયામ-ખેલકૂદ અને યોગધારા તેમજ NTF સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. પાટણના પતંજલિ ચિકિત્સાલયના મેડિકલ ઓફિસર ડૉ. હેતલ બી. પ્રજાપતિએ વક્તા તરીકે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. હેતલ બી. પ્રજાપતિએ વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય માટે યોગનું મહત્વ વિષય પર મનનીય વ્યાખ્યાન આપવાની સાથે પ્રાયોગિક જ્ઞાન પણ પૂરું પાડ્યું હતું. તેમણે પતંજલિ મુનિ દ્વારા અપાયેલી યોગની વ્યાખ્યા – 'योग: चित्तवृत्तिनिरोध:' – ને જીવનમાં કઈ રીતે સાચા અર્થમાં ચરિતાર્થ કરી શકાય તે અંગે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે પ્રા. સંજય પટેલ દ્વારા પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરીને વક્તાશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કૉલેજના PTI ડૉ. જાગૃતિ પ્રજાપતિએ વક્તાશ્રીનો પરિચય કરાવ્યો હતો. આ વ્યાખ્યાનમાં કુલ ૧૧ અધ્યાપકો અને ૪૬ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન કૉલેજના આચાર્ય ડૉ. ટી.પી. આનંદ સરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સપ્તધારા કન્વીનર ડૉ. ખુશ્બુ પ્રતિક મોદીના સહયોગથી સપ્તધારાની વ્યાયામ-ખેલકૂદ અને યોગધારાના કોઓર્ડિનેટર ડૉ. જાગૃતિ પ્રજાપતિ અને NTF સમિતિના કોઓર્ડિનેટર ડૉ. અમર ચક્રવર્તીએ કાર્યક્રમનું સંકલન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડૉ. ખુશ્બુ પ્રતિક મોદીએ કર્યું હતું, જ્યારે આભારવિધિ ડૉ. આરતી પ્રજાપતિએ કરી હતી. તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:26 pm

અગ્રવાલ કૉલેજમાં લૈંગિક સમાનતા પર સેમિનાર યોજાયો:ACP કે. મિની જોઝેફ અને સ્મિતા પટેલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું

સુરત, વેસુ સ્થિત અગ્રવાલ વિદ્યાવિહાર અંગ્રેજી માધ્યમ મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે લૈંગિક સમાનતા અને 'બેટી બચાવો – બેટી પઢાઓ' વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં યોજાયો હતો. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે મહિલા સેલ ક્રાઈમ બ્રાન્ચના એ.સી.પી. કે. મિની જોઝેફ અને મહિલા અને બાળ શાખાના ડી.એમ.સી. શ્રીમતી સ્મિતા પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સમાનતા, સામાજિક ન્યાય, યૌન ઉત્પીડન અને ડિજિટલ ધરપકડ જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું. અગ્રવાલ સમાજ વિદ્યાવિહાર ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી સંજય સરાવગી, અન્ય પદાધિકારીઓ, કોલેજના મુખ્ય સલાહકાર ડૉ. યુ. ટી. દેસાઈ, I/C પ્રિન્સીપાલ ડૉ. ગૌતમ દુઆ અને સમસ્ત વ્યાખ્યાતાઓએ આમંત્રિત વક્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:24 pm

વાલીઆ કોલેજમાં 'નશામુક્ત ભારત' અભિયાન યોજાયું:NSS યુનિટ અને વુમન સેલે કાર્યક્રમનું આયોજન કર્યું

વાલીઆની રંગ નવચેતન મહિલા આર્ટસ કોલેજમાં મંગળવાર, 16 ડિસેમ્બર, 2025 ના રોજ નશામુક્ત ભારત અભિયાન હેઠળ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ એન.એસ.એસ. યુનિટ અને વુમન સેલ દ્વારા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. નિયતિબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમના વક્તાઓ ડૉ. શર્મિલાબેન પટેલ અને ડૉ. દિલાવર ખાન પઠાણે વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના નશા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે નશાની વ્યક્તિ, ઘર અને સમગ્ર પરિવાર પર થતી ગંભીર અસરો વિશે છણાવટ કરી હતી. વક્તાઓએ ઇન્ટરનેટ અને મોબાઇલના વધુ પડતા ઉપયોગને પણ એક પ્રકારનો નશો ગણાવ્યો હતો. તેમણે આજના યુવાનોનો સમય કેવી રીતે બરબાદ થાય છે અને તેમની કારકિર્દી પર તેની નકારાત્મક અસર કેવી રીતે પડે છે તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. કુસુમબેન પટેલે કર્યું હતું, જ્યારે આભાર વિધિ એન.એસ.એસ. કો-ઓર્ડિનેટર ડૉ. રાજસાહેબે કરી હતી. મહેમાનોનું સ્વાગત ડૉ. પુષ્પાબેન પટેલે કર્યું હતું. કોલેજના આચાર્યએ વિદ્યાર્થીઓને વ્યસન છોડો જીવન જોડો નો સંદેશ આપીને વ્યસનમુક્તિ માટે પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજનો સમગ્ર સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જેના કારણે કાર્યક્રમ સફળ રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:24 pm

અમરોલી કોલેજમાં 'આત્મનિર્ભર ભારત' સંકલ્પ અભિયાન યોજાયું:ભાજપા ઉપપ્રમુખ જનકભાઈ પટેલે યુવાશક્તિને માર્ગદર્શન આપ્યું

સુરતના અમરોલી સ્થિત જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજમાં બુધવાર, 17 ડિસેમ્બર, 2025ના રોજ 'આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્યા સેજલ એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જીવન જ્યોત ટ્રસ્ટના માનદ્ મંત્રી અશ્વિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપા – ગુજરાતના ઉપપ્રમુખ જનકભાઈ પટેલ (બગદાણાવાળા) મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમણે આત્મનિર્ભર ભારતના સંકલ્પ, યુવાશક્તિની ભૂમિકા, સ્વાવલંબન, રોજગાર સર્જન અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ વિશે પ્રેરણાદાયક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જનકભાઈ પટેલના ઉદ્દબોધનથી ઉપસ્થિત વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને આમંત્રિત મહેમાનોમાં નવી ઉર્જા અને રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થઈ હતી. તેમણે આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા માટે સૌએ પોતાની જવાબદારી નિભાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં કુલ ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન પ્રા. વિજયભાઈ એમ. ચૌધરી, ડૉ. ચિરાગ કે. સિદ્ધપુરીયા અને ડૉ. રાજભાઈ ડુમસિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે, સૌએ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે શપથ લીધા હતા.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:23 pm

નવસારીની ગાર્ડા કોલેજમાં ધારાસભ્ય રાકેશ દેસાઈનું વ્યાખ્યાન:આત્મનિર્ભર ભારત-સ્વદેશી અભિયાન પર વિદ્યાર્થીઓને સંબોધ્યા

નવસારીની એસ.બી. ગાર્ડા કોલેજમાં આત્મનિર્ભર ભારત – સ્વદેશી અભિયાન અંતર્ગત એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. કોલેજના અર્થશાસ્ત્ર વિભાગ અને આઈ.ક્યુ.એ. સેલ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ વ્યાખ્યાન તા. 18 ડિસેમ્બર, 2025ના રોજ યોજાયું હતું. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. ધર્મવીર ગુર્જરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીની કુ. આનંદિતા નાયકની પ્રાર્થનાથી થઈ હતી. ઇન્ચાર્જ આચાર્ય ડૉ. ધર્મવીર ગુર્જરે સ્વાગત પ્રવચનમાં ભારતની વૈશ્વિક સિદ્ધિઓ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવન વિશે સંક્ષિપ્ત માહિતી આપી હતી. ત્યારબાદ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈનું શાલ, સ્મૃતિભેટ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે સહાયક વિજયભાઈ ભટ્ટનું સ્વાગત ઉપાચાર્ય ડૉ. હિતેશભાઈ પટેલે કર્યું હતું. ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ તેમના વ્યાખ્યાનમાં 2014થી 2025 સુધીના ટૂંકાગાળામાં ભારતે હાંસલ કરેલી વૈશ્વિક સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુઓ અપનાવી એક ડગલું ભરવાની ભલામણ કરી હતી. આ કાર્યક્રમમાં હાજર કુલ 172 વિદ્યાર્થીઓએ સ્વદેશી અભિયાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સંકલ્પ લીધા હતા. મહેમાન ગૌતમ મહેતાએ તેમના કોલેજકાળના સંસ્મરણો વાગોળ્યા હતા. અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. અરવિંદભાઈ પટેલ, કુ. સોનલબેન પટેલ અને કુ. વંદના ધુમ સહિત અન્ય ફેકલ્ટી સભ્યો પણ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમનું આભારદર્શન કુ. નસરીન કુરેશીએ કર્યું હતું અને સમગ્ર સંચાલન શ્રી કિશોરભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:22 pm

જે.ઝેડ.શાહ કોલેજમાં વિશ્વ ધ્યાન દિવસ ઉજવાયો:વિદ્યાર્થીઓ અને સ્ટાફને ધ્યાનનું મહત્વ સમજાવવામાં આવ્યું

સુરત, અમરોલી સ્થિત જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજમાં ગુરુવાર, 18 ડિસેમ્બર, 2025ના રોજ વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે એક વિશેષ ધ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફના માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાનો હતો.ઈ.ચા. આચાર્યા ડૉ. સેજલ એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમની શરૂઆત તેમના હાર્દિક સ્વાગત પ્રવચનથી થઈ હતી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય અને કોલેજ ગીત દ્વારા કાર્યક્રમને ઔપચારિક રીતે પ્રારંભ આપવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી હસમુખભાઈ કુકડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાનના મહત્વ પર ભાર મૂક્યો હતો.કુકડિયાએ ધ્યાનના ફાયદાઓ, માનસિક શાંતિ, આત્મસંયમ અને જીવનમાં સકારાત્મકતા લાવવામાં તેની ભૂમિકા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. તેમણે રોજિંદા જીવનમાં ધ્યાન કેવી રીતે તણાવ ઘટાડી શકે છે અને એકાગ્રતા વધારી શકે છે તેના સરળ અને અસરકારક ઉદાહરણો રજૂ કર્યા. આ ઉપરાંત, તેમણે ઉપસ્થિત સૌ માટે ધ્યાન આધારિત એક પ્રવૃત્તિ પણ કરાવી, જેથી વિદ્યાર્થીઓ અને સ્ટાફને પ્રાયોગિક અનુભવ મળી શકે.વિશેષ વક્તા તરીકે અલ્પેશભાઈ દિયોરાએ 'આર્ટ ઓફ લિવિંગ' અને તેના વિવિધ કોર્સ વિશે વિસ્તૃત માહિતી આપી.તેમણે આર્ટ ઓફ લિવિંગ દ્વારા અપાતા ધ્યાન, પ્રાણાયામ અને વ્યક્તિત્વ વિકાસના કાર્યક્રમો વિશે સમજાવ્યું.દિયોરાએ આ કોર્સ દ્વારા વ્યક્તિના માનસિક, શારીરિક અને આધ્યાત્મિક વિકાસમાં થતા લાભો પર પ્રકાશ પાડ્યો અને વિદ્યાર્થીઓને જીવનમાં સંતુલન અને શાંતિ માટે ધ્યાન અપનાવવાની પ્રેરણા આપી. કાર્યક્રમ સંબંધિત પ્રતિસાદ એફ. વાય. બી. કોમ. ડિવિઝન–4 ના વિદ્યાર્થી જોટાણીયા રિમિત દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. રાજ એસ. ડુમસિયા અને ડૉ. મયંકભાઈ વી. સોઢા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ ડૉ. મયંકભાઈ વી. સોઢાએ કરી હતી. આ કાર્યક્રમમાં કોલેજના પ્રાધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, અને સમગ્ર ઉજવણી શાંતિપૂર્ણ તથા સકારાત્મક વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:21 pm

લુણાવાડાના સાત તળાવ ગામે ખેતરમાં યુવાનની હત્યા:પોલીસે તપાસ શરૂ કરી, મૃતદેહ પીએમ માટે ખસેડાયો

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સાત તળાવ ગામે એક યુવાનની હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક વિગતો અનુસાર, રાત્રિ દરમિયાન પાક રક્ષણ માટે ખેતરમાં ગયેલા યુવાન પર જીવલેણ હુમલો થયો હતો. તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને યુવાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. મૃતક યુવાન સાત તળાવ ગામનો જ રહેવાસી હતો અને તેનું નામ સમીર પટેલ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ લુણાવાડા ટાઉન પોલીસ, SOG, LCB ટીમ સહિત DYSP ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હત્યા કોણે અને શા માટે કરી તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:18 pm

નદીમાં ખાબકેલી ટ્રક ક્રેનથી બહાર કઢાઈ:ધારાગીરી હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો, પોલીસે રૂટ ડાયવર્ટ કર્યો

નવસારીના ધારાગીરી નજીક પૂર્ણા નદીમાં બે દિવસ અગાઉ ખાબકેલી ટ્રકને આજે ક્રેન વડે બહાર કાઢવામાં આવી હતી. આ કામગીરીને કારણે નેશનલ હાઈવે નંબર 48 પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના પગલે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિકની સ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસે અમદાવાદથી મુંબઈ તરફ જતા વાહનવ્યવહારને ડાયવર્ટ કર્યો હતો. પોલીસે સ્થિતિને સંભાળીને વાહનવ્યવહારને સુચારુ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના ગત 17મી ડિસેમ્બરે સવારે લગભગ 7 વાગ્યે બની હતી. નવસારીના નેશનલ હાઈવે નંબર 48 પર ધારાગીરી ગામ નજીક અમદાવાદથી મુંબઈ જતા રૂટ પર એક ટ્રક ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતા કન્ટેનર સર્વિસ રોડ પરથી સીધું પૂર્ણા નદીમાં ખાબક્યું હતું. અકસ્માતમાં ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. તેમને સામાન્ય ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ ધારાગીરી ગામના સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક ડ્રાઇવરને ટ્રકમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. ત્યારબાદ નવસારી ફાયર વિભાગની ટીમે પણ સ્થળ પર પહોંચી ડ્રાઇવર અને ક્લીનરને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:16 pm

વીર નર્મદ યુનિવર્સિટીમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ઉજવાયું:પૂર્વ મેયર ડૉ. જગદીશ પટેલ અને કુલપતિ ડૉ. ચાવડા રહ્યા ઉપસ્થિત

વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયમાં 17 ડિસેમ્બર, 2025ના રોજ ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને જાહેર જીવનના અગ્રણી ડૉ. જગદીશ પટેલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ચેતના, સ્વાવલંબન અને વિકાસલક્ષી દૃષ્ટિકોણ વિકસાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ છે. તેમણે યુવાનોને જ્ઞાન, નવીનતા અને મૂલ્યઆધારિત શિક્ષણ દ્વારા ‘વિકસિત ભારત @2047’ના નિર્માણમાં સક્રિય ભાગીદાર બનવા આહ્વાન કર્યું. ડૉ. જગદીશ પટેલે પોતાના વ્યાખ્યાનમાં ભારતના આત્મનિર્ભર બનવાના ઐતિહાસિક પ્રવાસ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આત્મનિર્ભર ભારત માત્ર આર્થિક સંકલ્પ નથી, પરંતુ સામાજિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ચેતનાનો એક સંકલિત વિચાર છે. તેમણે ‘વિકસિત ભારત @2047’ના લક્ષ્યને સાકાર કરવા માટે શિક્ષણ, નવીનતા, ટેકનોલોજી, સ્વદેશી ઉદ્યોગો, યુવાશક્તિના સશક્તિકરણ અને સમાજના દરેક વર્ગોની સહભાગિતાની મહત્વપૂર્ણ ભૂમિકા પર વિશેષ ભાર મૂક્યો. તેમણે યુવાનોને દેશના ભવિષ્યના શિલ્પકાર ગણાવી જવાબદાર નાગરિકત્વ અને રાષ્ટ્રીય જવાબદારીના મૂલ્યો આત્મસાત કરવા અપીલ કરી. આ કાર્યક્રમમાં વિશ્વવિદ્યાલયના કુલસચિવ ડૉ. રમેશદાન ગઢવી, રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ના સંયોજક ડૉ. શ્રીધર નિમાવત, અન્ય અધિકારીઓ, પ્રાધ્યાપકો, સંશોધકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ સંકલ્પપત્ર ભરી તેનું વાંચન કર્યું હતું. કાર્યક્રમનું સમાપન ડૉ. દિપેશ ઝા દ્વારા આભારવિધિ સાથે કરવામાં આવ્યું હતું, જેમાં દેશપ્રેમ અને રાષ્ટ્રીય સંકલ્પનો ઉત્સાહજનક માહોલ જોવા મળ્યો.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:16 pm

મોરબીમાં કોંગ્રેસનું ભાજપ કાર્યાલય પાસે પ્રદર્શન:નેશનલ હેરાલ્ડ કેસમાં રાહત બાદ 'સત્યમેવ જયતે'ના નારા

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને રાહત મળ્યા બાદ મોરબીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે 'સત્યમેવ જયતે'ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સમયે જિલ્લા ભાજપના આગેવાનોએ પણ 'વંદે માતરમ'ના નારા લગાવતા વાતાવરણ તંગ બન્યું હતું. આ વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની આગેવાની હેઠળ યોજાયું હતું. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ દમયંતિબેન નિરંજની, માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદીપભાઈ કલારિયા, મહેશભાઈ રાજકોટિયા સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. તેઓએ રવાપર રોડ પરના બાપાસીતારામ ચોકથી અવની ચોકડી તરફના જિલ્લા ભાજપ કાર્યાલય સુધી રેલી કાઢી હતી. ભાજપ કાર્યાલય પાસે પહોંચીને કોંગ્રેસના કાર્યકરોએ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળેલી રાહતના સમર્થનમાં અને ભાજપની નીતિઓનો પર્દાફાશ કરવાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે યંગ ઇન્ડિયા કેસમાં ED દ્વારા કરાયેલી કાર્યવાહી સંપૂર્ણ ગેરકાયદેસર અને બદઇરાદાપૂર્વક હતી, જે કોર્ટે પણ સ્વીકાર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોર્ટના ચુકાદામાં સ્પષ્ટ જણાવાયું છે કે EDના કેસનું કોઈ અધિકારક્ષેત્ર જ નહોતું. છેલ્લા એક દાયકાથી દેશના મુખ્ય વિરોધ પક્ષ સામે મોદી સરકારની આ રાજકીય બદઇરાદાયુક્ત કાર્યવાહીનો કોર્ટના ચુકાદા બાદ ભારતની પ્રજા સમક્ષ પર્દાફાશ થયો છે. આથી, આજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય પાસે 'સત્યમેવ જયતે'ના નારા લગાવી વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ દરમિયાન મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા તેમની ઓફિસે આવતા કોંગ્રેસના આગેવાનોએ તેમને ઘેરી લીધા હતા. જોકે, જયંતિભાઈ રાજકોટિયાએ 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા હતા. ભાજપના નિર્મલભાઈ જારીયા અને જતિનભાઈ ફૂલતરિયા સહિતના આગેવાનોએ કોંગ્રેસના વિરોધ પ્રદર્શન સામે 'વંદે માતરમ'ના નારા લગાવ્યા હતા. આમ, ભાજપ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા સામસામે નારેબાજી થતા ભાજપ કાર્યાલય પાસે થોડા સમય માટે રાજકીય ગરમાવો છવાયો હતો.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:15 pm

પીએમશ્રી સયાજીગંજ શાળાના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ સિદ્ધિ મેળવી:60મા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં શાળાનું ગૌરવ વધાર્યું

પીએમશ્રી નગર પ્રાથમિક સયાજીગંજ શાળા નંબર 52ના વિદ્યાર્થીઓએ 60મા વડોદરા જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રદર્શન સાવલી ખાતે 16, 17 અને 18 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાયું હતું. પ્રદર્શનમાં શાળાના વિદ્યાર્થીઓ પરમાર વિશ્વા અને સાંગાણી મિતકુમારે પોતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. તેમની વૈજ્ઞાનિક સમજ, નવીન વિચારશક્તિ અને સર્જનાત્મકતાને દર્શકો તેમજ નિષ્ણાતો તરફથી ખૂબ પ્રશંસા મળી હતી. વિદ્યાર્થીઓની આ સફળતામાં માર્ગદર્શક શિક્ષિકા શ્રીમતી પરમાર નયનાબેનની નિષ્ઠાપૂર્ણ મહેનત અને સતત માર્ગદર્શનનો મહત્વનો ફાળો રહ્યો છે. આ સિદ્ધિએ શાળાનું ગૌરવ વધાર્યું છે અને અન્ય વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે રસ દાખવવા પ્રેરણા આપી છે. આચાર્ય સુનિલભાઈ ગાંવિતે શાળા પરિવાર અને વ્યવસ્થાપન વતી આ સિદ્ધિ બદલ વિદ્યાર્થીઓ, માર્ગદર્શક શિક્ષિકા અને સહયોગ આપનાર તમામને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓ આવી જ રીતે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરતા રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:13 pm

હિંમત હાઈસ્કૂલમાં 14મી રાજ્ય સ્તરીય ક્વિઝ સ્પર્ધા:સ્વામી વિવેકાનંદજીની જીવનગાથા પર વિદ્યાર્થીઓએ ભાગ લીધો

હિંમતનગરની હિંમત હાઈસ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદજીની 14મી રાજ્ય સ્તરીય ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 14 શાળાઓના 14 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન હિંમત હાઈસ્કૂલના આચાર્ય એસ.એસ. પટેલના નેતૃત્વ હેઠળ થયું હતું. કાર્યક્રમનું સંચાલન અને સંકલન ડી.પી. ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના સુપરવાઈઝર એસ.કે. મનાત અને પી.જે. મહેતા પણ આયોજનમાં મદદરૂપ થયા હતા. આ પ્રસંગે શાળાના આચાર્યએ સ્પર્ધકો અને આમંત્રિતોનું સ્વાગત કર્યું હતું અને કાર્યક્રમના મહત્વ વિશે સમજાવ્યું હતું. હિંમતનગરના રામકૃષ્ણ મિશનના સંચાલિકાઓ કુસુમબેન અજમેરા અને મધુ અજમેરા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બાળકો અને સહાયકો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે, દિયોલી હાઈસ્કૂલના શિક્ષક સંદીપભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:13 pm

લુણાવાડામાં પ્રતિબંધિત ગો-ગો કોન વેચતો દુકાનદાર પકડાયો:મહીસાગર LCBએ નશામુક્ત ગુજરાત અભિયાન હેઠળ કાર્યવાહી કરી

મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા 'નશામુક્ત ગુજરાત અભિયાન'ને સાર્થક બનાવવા માટે પ્રતિબંધીત ગો-ગો કોન અને રોલીંગ પેપરનું વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને એલ.સી.બી. પીઆઇ એમ.કે. ખાંટ દ્વારા એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. આ દરમિયાન, એલ.સી.બી. ટીમ દ્વારા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોલીંગ પેપર, ગો-ગો સ્મોકીંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનું વેચાણ કરતા પાન-પાર્લરોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન, પોલીસને બાતમી મળી હતી કે લુણાવાડા આંબેડકર ચોકની બાજુમાં આવેલી લોખંડની કેબિનમાં ધારક રોલીંગ પેપર્સ, ગો-ગો સ્મોકીંગ કોન અને પરફેક્ટ રોલનું મટીરીયલ વેચે છે. બાતમીના આધારે, પોલીસે તે જગ્યાએ જઈ તપાસ કરતા એક ઇસમ મળી આવ્યો હતો. તેણે પોતાનું નામ આફ્રીદી મોહમદ હનિફ અબ્બાસી, ધંધો વેપાર, રહેવાસી બેડા ફળિયું, લુણાવાડા, મહીસાગર જણાવ્યું હતું. આ ઇસમની દુકાનમાં તપાસ કરતા, પોલીસને 1 નંગ ગો-ગો સ્મોકીંગ કોન (કિંમત રૂ. 10), 118 નંગ રોલીંગ પેપર્સ (કિંમત રૂ. 1180) અને 1 નંગ ફિલ્ટર (કિંમત રૂ. 10) મળી આવ્યા હતા. આમ, કુલ રૂ. 1200/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આફ્રીદી મોહમદ હનિફ અબ્બાસી જાહેરનામાનો ભંગ કરી પ્રતિબંધીત ચીજવસ્તુઓનું વેચાણ કરતો મળી આવતા, તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:06 pm

સુરેન્દ્રનગરમાં 'વ્હિપલ સર્જરી' સફળતાપૂર્વક પાર પડાઈ:પિત્તની નળી અને સ્વાદુપિંડના કેન્સરની ગાંઠ દૂર કરાઈ, તબીબોની 10 કલાકની જહેમત બાદ ઓપરેશન સફળ રહ્યું

સુરેન્દ્રનગરની સી. યુ. શાહ હોસ્પિટલમાં મેડિકલ સાયન્સની અત્યંત જટિલ ગણાતી 'વ્હિપલ સર્જરી' સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. છેલ્લા 20 વર્ષમાં જિલ્લાના તબીબી ઇતિહાસમાં આ પ્રકારનું આ પ્રથમ ઓપરેશન છે. આ સર્જરી દ્વારા પિત્તની નળી અને સ્વાદુપિંડના કેન્સરની ગાંઠ દૂર કરીને દર્દીને નવજીવન મળ્યું છે. સુરેન્દ્રનગરના રહેવાસી કાંતિ કારેલીયાને છેલ્લા એક મહિનાથી ભૂખ ન લાગવી, મોઢામાં ચાંદા પડવા અને કબજિયાત જેવી તકલીફો હતી. પ્રાથમિક તપાસમાં કમળો જણાતા સોનોગ્રાફી કરવામાં આવી, જેમાં પિત્તની નળી સંકોચાઈ હોવાનું બહાર આવ્યું. કેસની ગંભીરતા જોઈ તેમને ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડો. ચિંતન ટેલર પાસે રિફર કરાયા. એન્ડોસ્કોપી અને બાયોપ્સીના રિપોર્ટમાં કાંતિભાઈને પિત્તની નળી જ્યાં નાના આંતરડામાં ખુલે છે ત્યાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું. ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડૉ. ચિંતન ટેલરે જણાવ્યું કે, દર્દી જ્યારે તપાસ માટે આવ્યા, ત્યારે પિત્તની નળી સંકોચાયેલી જણાઈ હતી. એન્ડોસ્કોપી તપાસમાં પિત્તની નળીના મુખ પાસે ગાંઠ હોવાનું માલુમ પડ્યું. તાત્કાલિક બાયોપ્સી અને સીટી સ્કેન કરાવતા પિત્તની નળીનું કેન્સર હોવાનું નિશ્ચિત થયું. જિલ્લા કક્ષાએ આટલું વહેલું અને સચોટ નિદાન થવાને કારણે જ અમે સમયસર સર્જરી વિભાગને કેસ સોંપી શક્યા અને દર્દીને જીવલેણ કેન્સરની જટિલતામાંથી ઉગારી શક્યા છીએ. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલમાં લાખોના ખર્ચે થતી આ સર્જરીનો સક્સેસ રેટ લગભગ 50 ટકા જેટલો હોય છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ આ પડકાર ઝીલવાનું નક્કી કરાયું. તબીબોની 10 કલાકની અવિરત જહેમત અને અત્યાધુનિક સુવિધાઓના સમન્વયથી આ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું. દર્દીના પુત્ર ધવલ કારેલીયાએ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું કે, આયુષ્માન કાર્ડને કારણે એક પણ રૂપિયો ખર્ચ્યા વગર મારા પિતાનું જટિલ ઓપરેશન અને સારવાર તદ્દન મફત થઈ છે. સરકારની આ ઉમદા યોજનાને કારણે આજે મારા પિતાને નવજીવન મળ્યું છે, જે બદલ અમે સરકારના આજીવન ઋણી રહીશું. સર્જરીની જટિલતા અંગે ડૉ. કમલેશ ગલાણીએ જણાવ્યું કે, આ ઓપરેશનમાં સ્વાદુપિંડનો ભાગ, પિત્તાશયની કોથળી અને નાના આંતરડાના ભાગો દૂર કરી ફરીથી જોડવામાં આવે છે. સતત 10 કલાકની જહેમત બાદ આ ઓપરેશન સફળ રહ્યું છે અને દર્દી હવે સંપૂર્ણ સ્વસ્થ છે. આ ઓપરેશનની સફળતામાં હોસ્પિટલના કેન્સર નિષ્ણાંત અને એનેસ્થેસિયા ટીમનું યોગદાન પણ અભૂતપૂર્વ રહ્યું હતું. કેન્સર નિષ્ણાંત ડૉ. ભાવિક વસોયાએ જણાવ્યું હતું કે, આ પ્રકારની સર્જરીનો સક્સેસ રેટ ઘણો ઓછો હોય છે, પરંતુ યોગ્ય નિદાન અને સચોટ આયોજન સાથે અમે આ કામગીરી શરૂ કરી. હોસ્પિટલમાં જે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે, તેને કારણે અમે આટલું જટિલ ઓપરેશન કરી શક્યા છીએ. સર્જરી ટીમમાં સામેલ ડૉ. હરેશ મેમરીયાએ જણાવ્યું કે, આ સફળતા પાછળ ટીમ વર્ક મોટું કારણ છે. સર્જરી વિભાગ અને એનેસ્થેસિયા વિભાગના ડોક્ટરોના સંકલનથી આ અશક્ય લાગતું ઓપરેશન સફળ થયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જ આવી સુવિધા મળવાને કારણે દર્દીને અમદાવાદ કે રાજકોટ સુધી લાંબા થવું પડ્યું નથી અને સમયસર સારવાર મળી શકી છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:06 pm

પાલનપુરમાં પ્રતિબંધિત સ્મોકિંગ કોન વેચતો શખ્સ ઝડપાયો:SOG એ 14 બોક્સ અને 36 રોલિંગ પેપર સ્ટ્રીપ જપ્ત કરી

પાલનપુરમાં પ્રતિબંધિત ગો-ગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનું વેચાણ કરતા એક શખ્સને એસ.ઓ.જી. (SOG) ટીમે ઝડપી પાડ્યો છે. માનસરોવર ફાટકના નાકા પર આવેલા જય ગોગા પાર્લરમાંથી દિનેશ હમીરભાઈ પરમાર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. એસ.ઓ.જી. દ્વારા દરોડા દરમિયાન આરોપી પાસેથી ગો-ગો સ્મોકિંગ કોનના 14 બોક્સ અને રોલિંગ પેપરની 36 સ્ટ્રીપ જપ્ત કરવામાં આવી હતી. આ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ પાન પાર્લરમાંથી થતું હતું. 'નો ડ્રગ્સ ઇન ગુજરાત' અને 'નશામુક્ત ગુજરાત' અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં એસ.ઓ.જી. દ્વારા પાન-પાર્લરની તપાસ કરવામાં આવી રહી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત 570 રૂપિયા આંકવામાં આવી છે, જેમાં સ્મોકિંગ કોનના બોક્સની કિંમત 210 રૂપિયા અને રોલિંગ પેપરની સ્ટ્રીપની કિંમત 360 રૂપિયાનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:56 pm

ગોધરામાં AQI માત્ર 26 નોંધાયો:શહેરની હવા અત્યંત શુદ્ધ, વાતાવરણ આહલાદક બન્યું

ગોધરા શહેરની હવાની ગુણવત્તા અત્યંત શુદ્ધ નોંધાઈ છે. કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સવારે લેવાયેલા રીડિંગ મુજબ, શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) માત્ર 26 રહ્યો હતો, જે 'સારી' શ્રેણીમાં આવે છે. આનાથી વાતાવરણ આહલાદક બન્યું છે. તા. 19 ડિસેમ્બર 2025ના રોજ સવારે કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિસ્તારમાં હવાની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. પર્યાવરણના માપદંડો અનુસાર, AQI 26 એટલે હવામાં પ્રદૂષણનું પ્રમાણ નહિવત્ છે અને તે જાહેર આરોગ્ય માટે કોઈ જોખમ ઊભું કરતું નથી. આ શુદ્ધ હવાને કારણે નાના બાળકો, વૃદ્ધો અને શ્વાસની તકલીફ ધરાવતા લોકો સહિત તમામ વયના નાગરિકો કોઈપણ ડર વગર બહાર હરી-ફરી શકે છે. તેઓ કસરત કે મોર્નિંગ વોક જેવી પ્રવૃત્તિઓ પણ સરળતાથી કરી શકે છે. આ પ્રસંગે સ્વચ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. સુજાત વલીએ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, શહેરની હવા શુદ્ધ રહે તે આપણા સૌના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે. તેમણે નાગરિકોને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવા અને સ્વચ્છતા અભિયાનમાં સતત સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:53 pm

પાટણમાં મોટાબાપાએ નકલી સહીઓથી વીજ કનેક્શન પચાવ્યું:વારસાઈના ખોટા સોગંદનામા બદલ ભત્રીજાએ ફરિયાદ નોંધાવી

પાટણ શહેરમાં વારસાઈના નામે છેતરપિંડીનો એક કિસ્સો સામે આવ્યો છે. પદ્યનાથ વિસ્તારના દિપેશ ભાટીયાએ તેમના મોટાબાપા ઇન્દુલાલ રસીકલાલ ભાટીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મોટાબાપા પર પરિવારના સભ્યોની જાણ બહાર નકલી સહીઓ કરીને ખોટું સોગંદનામું તૈયાર કરી દાદાના નામનું વીજ કનેક્શન પોતાના નામે ટ્રાન્સફર કરાવી લેવાનો આરોપ છે. પોલીસે આ મામલે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદી દિપેશ ભાટીયાના દાદા રસીકલાલ જેસંગલાલ ભાટીયાની પાટણના નવજીવન સર્કલ પાસે ટાયર પંચરની દુકાન આવેલી છે. વર્ષ 2014માં દાદા અને પિતાના અવસાન બાદ દિપેશ આ દુકાનનો વહીવટ સંભાળતા હતા. બેંકમાં નોકરી મળ્યા બાદ તેમનું દુકાને જવાનું ઓછું થયું હતું. 14 માર્ચ, 2024ના રોજ દિપેશ દુકાને ગયા ત્યારે વીજ બિલમાં દાદાના નામને બદલે મોટાબાપા ઇન્દુલાલ ભાટીયા (રહે. ચાંદખેડા, અમદાવાદ) નું નામ જોઈને તેમને શંકા ગઈ હતી. આ ફેરફાર અંગે UGVCL કચેરીમાં તપાસ કરતા સંતોષકારક જવાબ ન મળતા, દિપેશ ભાટીયાએ RTI દ્વારા માહિતી મંગાવી હતી. RTI દ્વારા મળેલા દસ્તાવેજોમાં સામે આવ્યું કે, ઇન્દુલાલ ભાટીયાએ 11 જાન્યુઆરી, 2024ના રોજ એક વારસાઈ સોગંદનામું રજૂ કર્યું હતું. આ સોગંદનામામાં ફરિયાદી દિપેશ, તેમની માતા ધનવંતીબેન, ભાઈ નિરવ અને બહેન નિકીતાની ખોટી સહીઓ કરવામાં આવી હતી. આ નકલી સહીઓ ધરાવતા સોગંદનામાના આધારે વીજ કંપનીમાં છેતરપિંડી કરીને કનેક્શન પોતાના નામે કરાવી લેવાયું હતું. જ્યારે દિપેશે મોટાબાપાને આ અંગે પૂછ્યું ત્યારે તેમણે આ કૃત્ય સ્વીકારીને તેમાં પોતાનો હક હોવાનું જણાવ્યું હતું. પાટણ બી. ડિવિઝન પોલીસે ખોટા દસ્તાવેજો બનાવી વિશ્વાસઘાત કરવા બદલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:53 pm

31st માટે મંગાવેલો દારૂનો મીની ટ્રક ઝડપાયો:રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પસ્તીની આડમાં લવાતો 18.72 લાખનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, 28.82 લાખનો મુદામાલ કબ્જે કરી ચાર સામે ફરિયાદ નોંધી

રાજકોટમાં ન્યુયર સેલિબ્રેશન માટેનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ચુકયું છે. 31st ડિસેમ્બર પહેલા દારૂનો જથ્થો શહેરમાં ઘુસાડવા માટે નુસ્ખાઓ અપનાવવામાં આવી રહ્યા છે જોકે પોલીસ પણ સતર્ક બની બુટલેગરોના નુસખાઓને નાકામ બનાવી રહી છે. આજે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા દારૂ ભરેલો મીની ટ્રક ઝડપી પાડી ટ્રક લઈને નિકળેલા નડિયાદના બે આરોપીઓને ઝડપી પાડી ફરાર બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે. હાલ પોલીસે 18.72 લાખના દારૂ સહીત ટ્રક મળી કુલ 28.82 લાખના મુદામાલ સાથે બે આરોપીને ઝડપી ટ્રક સાત દારૂ મોકલનાર અને રાજકોટમાં દારૂ મંગાવનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જતા રસ્તે મૈસુર ભગત ચોક પાસે એક મિનિ ટ્રકમાં છાપાની પસ્તીની આડમાં દારૂ ભરી ચોટીલા તરફથી બેડી ચોકડીવાળા રસ્તે આવતો હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ વી.ડી.ડોડિયા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. આ સમયે બેડી ચોકડી તરફથી મિનિટ્રક નીકળતા તેને અટકાવી ડ્રાઈવરની પુછપરછ કરતાં તેણે પોતાનું નામ ધર્મેન્દ્ર ગોપાલભાઈ ઠાકોર (ઉ.વ.27) અને તેની બાજુમાં બેઠેલા શખ્સે પોતાનું નામ મોહન હરજાજી ભીલ (ઉ.વ.50) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટ્રકની તલાશી લેતાં તેમાં છાપાની પસ્તીની આડમાંથી દારૂનો જથ્થો મળી આવતાં પોલીસે રૂ.18.72 લાખની વિદેશી દારૂની 6000 નંગ બોટલ કબજે કરી બંને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની પુછપરછ કરાતાં આ દારૂ ભરેલો ટ્રક ચોટીલાથી વિશાલસિંગ સુનિલસિંગ રાજપુત નામના શખ્સે આપ્યા હોવાનું અને કેતન રાઠોડ નામના શખ્સે મંગાવ્યો હોવાનું જણાવતાં પોલીસે ચારેય સામે ગુનો દાખલ કરી વિશાલસિંગ અને કેતન રાઠોડની ધરપકડ કરવા વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:53 pm

નવસારીમાં AAPએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી:આગામી 15 દિવસમાં ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા; ઈસુદાન ગઢવીએ વિવિધ મુદ્દે ભાજપ પર આક્ષેપ કર્યાં

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આમ આદમી પાર્ટી (AAP) એ નવસારીમાં પોતાની પકડ મજબૂત કરવા કવાયત હાથ ધરી છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં આજે નવસારી ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં આગામી ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી 15 દિવસમાં નવસારીમાં ઉમેદવારોની પસંદગી માટેની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. ઈસુદાન ગઢવીએ નવસારીમાં વર્ષોથી ભાજપના શાસન હોવા છતાં લોકો પાયાની સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે ભાજપ શાસન પર આકરા પ્રહારો કર્યા હતા. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, નવસારી નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે અને તેના કારણે આજે અમે અમારા કાર્યકરો સાથે ચૂંટણીલક્ષી સમીક્ષા કરવા જઈ રહ્યા છીએ. તેની સાથે જો તમે નવસારીને જુઓ તો લોકો અસંખ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. વર્ષોથી ભાજપ સત્તામાં છે અને તમામ પૈસા ભ્રષ્ટાચારમાં જઈ રહ્યા છે. ભાજપને વહીવટ કેવી રીતે ચલાવવો તેની ખબર નથી અને તેના ઉપર તેમના નેતાઓ એટલા અહંકારી છે કે, તેઓ વિચારે છે કે, લોકો અમને મત આપ્યા વગર ક્યાં જશે? આ અહંકાર અત્યારે જનતાને પરેશાન કરી રહ્યો છે. વધુમાં જણાવ્યું કે, જ્યાં જુઓ ત્યાં તોડફોડ થઈ છે પણ તેનો સદુપયોગ થયો નથી. રિંગ રોડ તો છે પણ તેનું વ્યવસ્થાપન હજુ સુધી ગોઠવાયું નથી. પાણી 45 દિવસે એકવાર આવે છે. જો જળસંપત્તિ મંત્રી સી.આર. પાટીલના પોતાના વિસ્તારમાં જ 45 દિવસે પાણી આવતું હોય તો સ્થિતિ શું છે? આપણે કોને પાણી પૂરું પાડી રહ્યા છીએ? મારો કહેવાનો અર્થ એ છે કે નવસારીમાં જે વિકાસ થવો જોઈતો હતો તેના બદલે વિકાસ થયો નથી, ઉલટું જનતા પર વધારાના વેરા લાદવામાં આવી રહ્યા છે. નગરપાલિકા હજુ પૂર્ણ રીતે અસ્તિત્વમાં આવી નથી છતાં, મને ખબર છે ત્યાં સુધી ભાજપ ચૂંટણી પછી પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવા જઈ રહ્યું છે. તે લગભગ બમણો થવાની ધારણા છે. અહીં કોઈ સુવિધાઓ આપવામાં આવતી નથી. જો તમે નવસારીને જુઓ તો રસ્તાઓ સારા નથી, ગટરની યોગ્ય વ્યવસ્થા નથી, પાણીની સમસ્યા યથાવત્ છે અને મોંઘવારી ચરમસીમા પર છે. કોઈ મહિલા કે અન્ય કોઈને કંઈ પણ મફત મળતું નથી. તેથી, હું આજે નવસારીની જનતાને વિનંતી કરવા માંગુ છું કે તમારી પાસે એક મજબૂત વિકલ્પ આવી રહ્યો છે, એક તક આવી રહી છે. અત્યાર સુધી તમે કદાચ ભાજપની સિસ્ટમનો ભોગ બન્યા હશો. દિલ્હીમાં જ્યારે આમ આદમી પાર્ટી સત્તામાં આવી ત્યારે શું થયું તે જુઓ 300 યુનિટ વીજળી મફત થઈ અને ભાજપે બીજા રાજ્યોમાં પણ 300 યુનિટ મફત વીજળી આપવી પડી. જો તમે નવસારીમાં પણ આમ આદમી પાર્ટીની નગરપાલિકા બનાવશો તો તમને માત્ર વિવિધ સુવિધાઓ જ નહીં મળે પણ તે ભ્રષ્ટાચાર મુક્ત નગરપાલિકા પણ બનશે. વધુમાં, આગામી પાંચ વર્ષમાં તમારા પરસેવાની કમાણીનો સદુપયોગ થશે અને તમને એવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે જે ગુજરાતની જનતાએ હજુ સુધી જોઈ નથી. તમે દિલ્હી અને પંજાબના ઉદાહરણો જોઈ શકો છો. આજે પંજાબમાં આમ આદમી પાર્ટીએ 87 ટકા પરિણામો મેળવ્યા છે. સરકારના ત્રણ વર્ષમાં કેટલાય સારા કામો થયા છે, મફત વીજળી, મફત પાણી, શાળાઓ બની રહી છે, 43,000 કિલોમીટરના સારા રસ્તાઓ બની રહ્યા છે અને આ રસ્તાઓ 20 વર્ષ સુધી તૂટશે નહીં. તમે એ પણ જોઈ શકો છો કે પંજાબ નશામુક્ત બની રહ્યું છે. મોટા પાયે ડ્રગ વિરોધી અભિયાનો દ્વારા યુવાનો અને બાળકોને વ્યસનમાંથી મુક્ત કરવામાં આવી રહ્યા છે અને તેમને નોકરીઓ આપવામાં આવી રહી છે. પંજાબમાં ત્રણ વર્ષમાં એક પણ રૂપિયાની લાંચ કે પેપર લીક વગર 56,000 સરકારી નોકરીઓ આપવામાં આવી છે. જે અશક્ય લાગતું હતું તે શક્ય બન્યું છે અને તેથી જ પંજાબના 87 ટકા લોકોએ આમ આદમી પાર્ટીને પસંદ કરી છે. હું ગુજરાત અને નવસારીની જનતાને પણ વિનંતી કરું છું કે લાલચ, જ્ઞાતિવાદ, પ્રાદેશિકવાદ અને ધર્મની રાજનીતિ જે આ લોકો વાપરવાનો પ્રયાસ કરશે તેનાથી ઉપર ઉઠો. કામની રાજનીતિ પસંદ કરો. એ જ મારી વિનંતી છે. ચૂંટણી આવી રહી છે અને આમ આદમી પાર્ટી સંપૂર્ણ રીતે તૈયાર છે. આજે ચૂંટણી અંગે સમીક્ષાઓ છે. અમારા ઉમેદવારો માટેની પ્રક્રિયા 15 દિવસમાં શરૂ થશે. અમે સ્ટેટ અને ઝોન ટીમો જાહેર કરવા જઈ રહ્યા છીએ અને આ ટીમો ફોલોઅપ લેશે. આ મારી નવસારી, વલસાડ, ઉમરગામ અને સુરતની ત્રણ દિવસની મુલાકાત છે. આ મુલાકાત પછી હું બીજા ઝોનમાં જઈશ અને 15 દિવસ પછી મારા સભ્યો અને નિરીક્ષકો ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરશે. તેથી, આગામી ચૂંટણીઓ માટે અમે એવા સારા લોકોને સામેલ કરવા માટે પણ અભિયાન ચલાવવા જઈ રહ્યા છીએ જેઓ કામની રાજનીતિમાં રસ ધરાવે છે. આમ આદમી પાર્ટી ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારી કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:45 pm

પાવી જેતપુર શાળા કમ્પાઉન્ડ વોલ કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ:ડે. સરપંચે હલકી ઇંટો વાપરવાનો આક્ષેપ કર્યો, આચાર્યએ પણ રજૂઆત કરી

પાવી જેતપુર તાલુકાના અણિયાદ્રી ગામની પ્રાથમિક શાળા નંબર 1 ની કમ્પાઉન્ડ વોલના નિર્માણ કાર્યમાં મોટા પાયે ગોબાચારી થઈ રહી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ગામના ડેપ્યુટી સરપંચ સહિતના આગેવાનોએ કામમાં હલકી ગુણવત્તાની અને કાચી ઈંટો વાપરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો છે. આ પ્રાથમિક શાળાનું નવું મકાન થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યું હતું. હવે તેની કમ્પાઉન્ડ વોલનું કામ ચાલી રહ્યું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, કોન્ટ્રાક્ટર દ્વારા જૂના પાયા પર જ નવા પાયાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. વપરાતી ઈંટો પણ અત્યંત કાચી અને હલકી કક્ષાની હોવાનું કહેવાય છે. શાળાના આચાર્યએ કામ શરૂ થતાં જ ઈંટોની ગુણવત્તા અંગે સર્વ શિક્ષા અભિયાનના ટી.આર.પી.ને જાણ કરી હતી. જોકે, ટી.આર.પી.એ આ ઈંટો યોગ્ય હોવાનું જણાવીને કામ ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો હતો. તાજેતરમાં, ગામના આગેવાનો અને ડેપ્યુટી સરપંચ સહિતના લોકોએ કમ્પાઉન્ડ વોલના ચાલી રહેલા કામની મુલાકાત લીધી હતી. તેમણે કામની ગુણવત્તા સામે નારાજગી વ્યક્ત કરી હતી અને જ્યાં સુધી ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર આવીને યોગ્ય તપાસ ન કરે ત્યાં સુધી કામ બંધ રાખવાની માંગ કરી હતી. સાવ હલકી કક્ષાની અને કાચી ઈંટો કમ્પાઉન્ડ વોલમાં વાપરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ આ મામલે સઘન તપાસ અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:43 pm

દ્વારકા શારદાપીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીનું ગોધરા આગમન:લીલાશાહ આશ્રમ ખાતે સનાતન ધર્મ જાગૃતિ અભિયાન અંતર્ગત ધર્મસભા યોજાઈ

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે દ્વારકા શારદાપીઠાધીશ્વર અનંત વિભૂષિત જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજનું આગમન થયું હતું. સનાતન ધર્મ જાગૃતિ સેવા અભિયાન અંતર્ગત તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના વાવડી બુઝર્ગ વિસ્તારમાં પી.ટી. મીરાણી હોસ્પિટલની બાજુમાં આવેલા સ્વામી લીલાશાહ આશ્રમ (કુટિયા) ખાતે શંકરાચાર્યજીનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. સિંધી સમાજ અને ગોધરાના ધર્મપ્રેમી નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શંકરાચાર્યજી સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ગોધરા અને આસપાસના વિસ્તારોમાં વિચરણ કરી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન લીલાશાહ આશ્રમ ખાતે વિશેષ સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. જગદગુરુ શંકરાચાર્યજીએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, વર્તમાન ભૌતિકવાદી યુગમાં મનુષ્ય માટે ધર્મ, સંસ્કાર અને સંયમનું મહત્વ સમજવું અત્યંત આવશ્યક છે. તેમણે ઉમેર્યું હતું કે, સનાતન ધર્મની પરંપરા અને આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરવા માટે આવા કાર્યક્રમો મહત્વની ભૂમિકા ભજવે છે. ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ શંકરાચાર્યજીના દર્શન અને સત્સંગનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:41 pm

ગાંભોઈ પોલીસ સ્ટેશનની વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી:સુરક્ષા સેતુ અંતર્ગત કામગીરી અને સાધનોની માહિતી અપાઈ

હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને પોલીસની કામગીરી અને ઉપયોગી સાધનો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ગાંભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.જે. ગોસ્વામીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, શુક્રવારે સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગાંભોઈ પ્રાથમિક જૂથ શાળાના વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ પોલીસ સ્ટેશનમાં થતી કાર્યવાહી વિશે માહિતી આપવાનો હતો. વિદ્યાર્થીઓને લોકઅપ, VHF રેડિયો, હથિયારો, સાયબર ફ્રોડ હેલ્પલાઈન નંબર 1930, જનરક્ષક હેલ્પલાઈન 112 અને ટ્રાફિક નિયમો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:37 pm

રાજકોટમાં 23.91 લાખમાંથી 1.66 લાખ મતદારોના નામ રદ:SIR અંતર્ગત 8 વિધાનસભાની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 18 મી જાન્યુઆરી સુધી વાંધા અરજી રજૂ કરી શકાશે, 27 ફેબ્રુઆરીએ ફાઇનલ મતદાર યાદી

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.27 ઓક્ટોબરના Special Intensive Revision (SIR) એટલે કે 'ખાસ સઘન સુધારણા' કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ તા.4 નવેમ્બરથી તા.14 ડિસેમ્બર દરમ્યાન Enumeration Form (EF) ગણતરી ફોર્મનો સમયગાળો નકકી કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 23.91 લાખ મતદારોની ચકાસણી પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં 89,553 મૃત મતદારો મળી આવ્યા છે. જ્યારે 58,942 મતદારો સ્થળ પર હાજર મળી આવ્યા નથી તો 10,736 મતદારો ડુપ્લીકેટ મતદારો હોવાથી તેઓના નામ ડ્રાફટ મતદારયાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. જ્યારે 7304 મતદારોના અન્ય કારણોથી નામ દૂર કરવામાં આવ્યા છે. આમ કુલ 1,66,535 મતદારોના નામ રદ થયા છે. આજે 19 ડિસેમ્બરના ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કર્યા બાદ હવે વર્ષ 2026માં 18 જાન્યુઆરી સુધી વાંધા અરજી કરી શકાશે. જેઓના હિયરિંગ બાદ 17 ફેબ્રુઆરીના ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ કુલ 23,91,027 મતદારોની BLO દ્વારા ખરાઈ કરવામાં આવી. જેમાંથી 8,23,668 મતદારોની વર્ષ 2002 ની મતદારયાદી સાથે સેલ્ફ મેપિંગ કરવામાં આવ્યું હતુ. જ્યારે 10,06,177 મતદારોનું વંશાવલી એટલે કે Progeny Mapping કરવામાં આવ્યુ હતુ. જ્યારે 2,25,512 મતદારો એવા છે કે જેઓનું મેપિંગ થઈ શક્યુ નથી. આ સાથે જ 89,553 મતદારો અવસાન પામ્યા હોવાનું સામે આવ્યુ છે. તેથી તેઓના નામો ડ્રાફટ મતદારયાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 58,942 મતદારો સ્થળ ઉપર હાજર મળી આવ્યા નથી. જેથી તેઓના નામ પણ ડ્રાફટ મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં 1,69,135 મતદારો કાયમી સ્થળાંતર થયેલા છે. જ્યારે 10,736 મતદારો ડુપ્લીકેટ મતદારો હોવાથી તેઓના નામ ડ્રાફટ મતદારયાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. જ્યારે 7304 મતદારોના અન્ય કારણોથી નામ દૂર કરવામાં આવ્યા છે. SIR ની કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં રાજકીય પક્ષો સાથે 5 બેઠકો કરવામાં આવી છે. જે બાદ આજે 19 ડિસેમ્બરના જિલ્લામાં સમાવિષ્ટ તમામ 8 વિધાનસભા મતવિસ્તારની 'ખાસ સધન સુધારણા' કાર્યક્રમ અંતર્ગત ડ્રાફ્ટ રોલ એટલે કે મુસદ્દા મતદારયાદી (કાચી મતદાર યાદી) જાહેર કરવામાં આવેલી છે. તેમણે જણાવ્યું કે, આ યાદી કલેક્ટર કચેરી, તમામ મતદાર નોંધણી અધિકારીની કચેરી, મામલતદાર કચેરી/મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી અને નિયુક્ત મતદાન મથકો પર જોઈ શકાશે. આ ઉપરાંત CEO Gujarat ની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. આ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા રહે તે માટે તમામ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ડ્રાફ્ટ રોલની નકલી સોંપવામાં આવી છે. જેમાં ગેરહાજર, સ્થળાંતરિત અને મૃતક મતદારોની યાદી અલગથી તૈયાર કરી રાજકીય પક્ષોને અપાઈ છે. જેથી કોઈ ખોટા નામ રદ ન થાય તેની ખાતરી કરી શકાય. હવે 19 ડિસેમ્બર થી 18 જાન્યુઆરી સુધીમાં હક્ક-દાવા અને વાંધા અરજી રજૂ કરી શકાશે. જ્યારે 19 ડિસેમ્બરથી 10 ફેબ્રુઆરી,2026 સુધીમાં નોટીસનો તબકકો ચાલશે. જેમાં નોટીસ ઇશ્યુ કરવાની સાથે સુનાવણી અને ચકાસણી કરવામાં આવશે. આ દરમિયાન જેમની ઉંમર 1 જાન્યુઆરી, 2026 ના 18 વર્ષ પૂર્ણ થતી હોય તેવો નવું નામ નોંધાવવા માટે ફોર્મ નં.6 ભરી શકે છે. નામ રદ કરવા માટે ફોર્મ નં.7, નામ કે વિગતોમાં સુધારા-વધારા અથવા સરનામું બદલવા માટે ફોર્મ નં.8 ભરવાનું રહેશે. આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ 17 ફેબ્રુઆરી, 2026 ના રોજ થશે. SIR પ્રક્રિયા દરમિયાન જે મતદારોનું 2002 ની મતદારયાદી સાથે મેપીંગ થયેલ ન હોય તેવા મતદારોને નિયત પુરાવા રજૂ કરવા વિનંતી છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:27 pm

મોરબીના પીપળીમાં 8 બિલ્ડરો સામે છેતરપિંડીનો ગુનો:ચાર સોસાયટીના 300 મકાનધારકોને પ્રાથમિક સુવિધા ન મળતા ફરિયાદ

મોરબીના પીપળી ગામ પાસે આવેલી ચાર સોસાયટીના આશરે 300 મકાનધારકોને પ્રાથમિક સુવિધાઓ જેવી કે વીજળી, પાણી અને ગટર પૂરી પાડવામાં ન આવતા 8 બિલ્ડરો સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સોસાયટીઓમાં માનસધામ સોસાયટી 1 અને 2, ગોકુલધામ અને ત્રિલોકધામનો સમાવેશ થાય છે. છેલ્લા પાંચ વર્ષથી અહીં રહેતા લોકોને મકાન વેચતી વખતે બિલ્ડરો દ્વારા અપાયેલા વચનો મુજબની સુવિધાઓ મળી નથી. બિલ્ડરોએ રેસિડેન્શિયલ સોસાયટી બનાવીને મકાનો વેચ્યા હોવા છતાં, લોકોને માત્ર પ્લોટના દસ્તાવેજો જ આપવામાં આવ્યા હોવાનું જયશ્રીબેન નામના સ્થાનિકે જણાવ્યું હતું. હિમાલયભાઈ કડછીએ જણાવ્યું કે, ચારેય સોસાયટીના રહેવાસીઓને વીજળી, પાણી અને ગટર જેવી સુવિધાઓ પૂરી પાડવાનું વચન આપીને તે આપવામાં આવી નથી. આથી, સોસાયટીના લોકોએ બિલ્ડરો દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી છે. માનસધામ સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા વિનોદભાઈ મોતીભાઈ પરમાર (ઉં.વ. 44) એ આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં મનીષભાઈ કાલરીયા, ચિંતનભાઈ ગામી, મિહિરસિંહ દિલીપસિંહ જાડેજા, રાજદીપ નિલેશભાઈ ગામી, જગદીશભાઈ એરવાડીયા, અંકિતભાઈ નેસડિયા, પ્રવીણભાઈ ગામી અને કિશોરભાઈ શેરસીયા નામના 8 બિલ્ડરોનો સમાવેશ થાય છે. પોલીસે આ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રાથમિક સુવિધાઓ અંગે પીપળી ગ્રામ પંચાયતના તલાટી મંત્રીએ જણાવ્યું હતું કે, આ ચારેય સોસાયટીઓનો કબજો હજુ સુધી ગ્રામ પંચાયતને સોંપવામાં આવ્યો નથી. રોડ-રસ્તા અને કોમન પ્લોટનો કબજો ન મળવા છતાં, ગ્રામ પંચાયત દ્વારા અઠવાડિયામાં એક વખત પાણી અને અન્ય પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જો સોસાયટીનો કબજો અને રોડ-રસ્તા પંચાયતને સોંપવામાં આવે તો જ સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરીને લોકોની સુખાકારીમાં વધારો કરી શકાય છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:24 pm

પાટણના શખ્સ સહિત બે સામે ગુનો:સાયબર ફ્રોડના ₹20 લાખથી વધુ સગેવગે કરવા બદલ ફરિયાદ

પાટણ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવાના ગુનામાં બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીઓએ ભારતના અલગ-અલગ રાજ્યોમાં થયેલી છેતરપિંડીના નાણાં પોતાના બેંક ખાતામાં મેળવી, કમિશનની લાલચે તે રકમ વિડ્રો કરી ગુનાહિત કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે. પાટણ સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા નોંધાયેલી વિગતો મુજબ, સાયબર ક્રાઈમ સેલ અને સમન્વય પોર્ટલના ઇનપુટ્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં સિદ્ધપુર ખાતે આવેલી બેંક ઓફ બરોડાના એક કરંટ એકાઉન્ટમાં શંકાસ્પદ વ્યવહારો જણાયા હતા. આ ખાતું પ્રકાશચંદ્ર સોમાભાઈ પટેલના નામે હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે 1 સપ્ટેમ્બર, 2025 થી 30 નવેમ્બર, 2025 દરમિયાન આ ખાતામાં કુલ ₹20,32,000 ની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ રકમ અલગ-અલગ 17 જેટલા સાયબર ફ્રોડના કિસ્સાઓ સાથે જોડાયેલી હતી, જેની ફરિયાદો ગુજરાત સહિત તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, તેલંગણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં નોંધાયેલી છે. પોલીસ પૂછપરછમાં ખાતાધારક પ્રકાશચંદ્ર પટેલે કબૂલાત કરી હતી કે તે અગાઉ ગ્લોબલ વિઝા સર્વિસની ઓફિસ ચલાવતો હતો અને દોઢેક વર્ષ પહેલા પાટણથી યુરોપ શિફ્ટ થયો હતો. આ દરમિયાન તેનો સંપર્ક સિદ્ધપુરના ચાટાવાડા ગામના પાર્થ ગોવિંદભાઈ પ્રજાપતિ સાથે થયો હતો. પાર્થ પ્રજાપતિએ પોતાના નાણાં પ્રકાશચંદ્રના ખાતામાં નાખવા દેવા બદલ 4 ટકા વળતરની લાલચ આપી હતી. આ કાવતરાના ભાગરૂપે પાર્થે અત્યાર સુધીમાં પ્રકાશચંદ્રને ₹80,000 રોકડા આપ્યા હતા. પ્રકાશચંદ્ર બેંકમાંથી ચેક અને એટીએમ દ્વારા નાણાં ઉપાડીને પાટણની અલગ-અલગ આંગડિયા પેઢીઓ મારફતે મોકલી આપતો હતો. આ સમગ્ર મામલે પોલીસે પ્રકાશચંદ્ર સોમાભાઈ પટેલ અને પાર્થ ગોવિંદભાઈ પ્રજાપતિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 317(2), 317(4), 317(5) અને 61(2)(a) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને આંગડિયા મારફતે નાણાં ક્યાં મોકલવામાં આવ્યા હતા તે અંગે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.આર. પટેલ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:05 pm

પશ્ચિમ કચ્છ LCBએ બે ચોરીના ગુના ઉકેલ્યા:ગઢશીશા પોલીસ મથકના આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા

પશ્ચિમ કચ્છ-ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ગઢશીશા પોલીસ મથકના વિસ્તારમાં નોંધાયેલા બે વણશોધાયેલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. LCB ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. જેઠી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી. જાદવની સૂચના મુજબ, LCB ટીમના એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી, હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી, લીલાભાઇ ગઢવી, રાજેશભાઈ ગઢવી અને કોન્સ્ટેબલ ભરતભાઇ ગઢવી ચોરીના ગુનાઓની તપાસ કરી રહ્યા હતા. તપાસ દરમિયાન, મુળરાજભાઇ ગઢવી અને લીલાભાઇ દેસાઇને ખાનગી બાતમી મળી હતી કે, ચંદુ ઇસ્માઇલ કોળી (રહે. ભોજાય, તા. માંડવી) તેના સાથીદારો સાથે ભોજાય ગામથી દેઢીયા ગામ તરફ જતા રસ્તા પર શંકાસ્પદ મુદ્દામાલ સાથે ઉભો છે. આ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી. પોલીસે ચંદુ ઇસ્માઇલ કોળી, ચિંતન ઉર્ફે ચીટુ ઠાકરશી ઓડીયાણા (રાજપુત) અને રાજેશ ઇસ્માઇલ કોળીને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી પવનચક્કીના નટ-બોલ્ટ અને છ બેટરીઓ મળી આવી હતી. આરોપીઓ આ મુદ્દામાલ અંગે કોઈ આધાર-પુરાવા આપી શક્યા ન હતા. યુક્તિપૂર્વક પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલ્યું કે, તેમની પાસેથી મળેલા નટ-બોલ્ટ અને અન્ય પવનચક્કીનો સામાન ભોજાયમાં સુઝલોન કંપનીના ભાડાના મકાનમાંથી ચોર્યો હતો. ઉપરાંત, એક બેટરી તુફાન ગાડીમાંથી અને પાંચ ઝાટકા મશીનની બેટરીઓ અલગ-અલગ વાડીઓમાંથી ચોરી કરી હતી. વધુ પૂછપરછમાં, ચંદુ કોળી અને ચિંતન ઓડીયાણાએ ભોજાય ગામમાંથી એક જ્યુપિટર મોપેડ અને એક સાઇન મોટરસાઇકલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. તેમણે બે અલગ-અલગ વાડીઓમાંથી ટપક સિંચાઈ માટેની ડ્રિપ પાઇપલાઇન પણ ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે તમામ મળી આવેલો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓને બી.એન.એસ.એસ. કલમ મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કબજે કરાયેલા મુદ્દામાલમાં આશરે 40 કિલો નટ-બોલ્ટ (રૂ. 4,000), છ નાની-મોટી બેટરીઓ (રૂ. 30,000) અને એક મોબાઇલ ફોન (રૂ. 5000) નો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:02 pm