વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલના પરિસરમાં આવેલી ગટરમાંથી તાજું જન્મેલું એક મૃત નવજાત બાળક મળી આવતા માનવતાને શરમાવે તેવી અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જેને કારણે હોસ્પિટલ પરિસરમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ગોત્રી હોસ્પિટલની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હાલમાં ગોરવા પોલીસ દ્વારા આ મૃત નવજાત બાળકને કોણ ફેંકી ગયું તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યાં છીએ...
10 નવેમ્બર, સોમવારે સાંજનો સમય. પાકિસ્તાની સંસદના ઉપલા ગૃહમાં અસીમ મુનીરને સર્વ સત્તાધીશ બનાવવા વોટિંગ થયું. મત મુનીરની તરફેણમાં પડ્યા. સાંસદોએ મુનીરનું અભિવાદન કરવા તાળીઓ પાડી ને એ જ સમયે ભારતના દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયો... જે રીતે મુનીરે પાકિસ્તાન માથે લીધું છે ને ભારતને એવો મેસેજ આપે છે કે આતંકવાદની ફેક્ટરી બંધ નહિ થાય. જેમ તમે ઘરમાં ઘૂસીને મારો છો, એમ અમે પણ ઘરમાં ઘૂસીને નિર્દોષ લોકોને મારતા રહીશું. નમસ્કાર, મુનીરના તેવર બદલાઈ ગયા છે. મુનીર મનમાં એવો ભ્રમ લઈને ચાલે છે કે મારી પડખે તો ચીન અને અમેરિકા બન્ને છે. હવે ભારત અમારું કાંઈ બગાડી નહિ શકે. એટલે હવામાં રહેતા મુનીર વધારે હવામાં ઊડવા લાગ્યા છે અને તેમને સર્વોચ્ચ સત્તા મળી એ જ ક્ષણે દિલ્હીમાં બ્લાસ્ટ થયો. દિલ્હીમાં બ્લાસ્ટ થયો ને પાકિસ્તાનની ત્રણેય પાંખ એલર્ટ મોડમાં આવી ગઈ. આવું કરવાની શું જરૂર પડી? કારણ કે પાકિસ્તાન જાણે છે કે દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનું બટન મુનીરના હાથમાં જ હતું. હવે ભારત ગમે ત્યારે ઓપરેશન સિંદૂર પાર્ટ-2 કરી શકે છે. પાકિસ્તાનમાં વડાપ્રધાન ને રાષ્ટ્રપતિ કરતાંય મુનીર સૌથી શક્તિશાળી બની ગયા પાકિસ્તાનમાં સૌથી શક્તિશાળી પદ હવે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિનું નથી. હવે સેના પ્રમુખ સૌથી શક્તિશાળી છે. પાકિસ્તાને સંવિધાનની કલમ 243માં ફેરફાર કરીને આર્મી ચીફને તમામ પાવર આપી દીધા છે. કાયદો એવો હતો કે પાકિસ્તાનમાં ત્રણેય સશસ્ત્ર દળો રાષ્ટ્રપતિના આદેશ હેઠળ આવતા હતા. નવી જોગવાઈ મુજબ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ (CDF) નામનું એક નવું પદ બનાવવામાં આવી રહ્યું છે. જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટી (CJCSC)ના ચેરમેનનું વર્તમાન પદ 27 નવેમ્બર, 2025ના રોજ નાબૂદ કરવામાં આવશે. વર્તમાન CJCSC જનરલ સાહિર શમશાદ મિર્ઝા તે દિવસે નિવૃત્ત થઈ રહ્યા છે. CDFની સ્થાપના થઈ ગયા પછી ચીફ ઓફ આર્મી સ્ટાફ જ CDF હશે. પાકિસ્તાનમાં સંવિધાનમાં 27મું સંશોધન કરવામાં આવ્યું તેમાં ત્યાંની સંસદના ઉપલા ગૃહ સેનેટમાં નવા સંવિધાન સંશોધનનો પ્રસ્તાવ સોમવારે (10 નવેમ્બરે) સાંજે પાસ થઈ ગયો છે. હવે નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીમાં પ્રસ્તાવ ગયો છે. દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની પડદા પાછળની વાત... 10 નવેમ્બરે સાંજે 6:52 વાગ્યાનો સમય. દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક સુભાષ રોડ પર ટ્રાફિક સિગ્નલ પાસે આઈ-20 કાર ધીમી પડીને ચાલી રહી હતી ને એકાએક તેમાં પ્રચંડ વિસ્ફોટ થયો. 10નાં મોત થયાં ને 24 ઘાયલ થયાં. અલગ અલગ એજન્સીઓએ આ બોમ્બ બ્લાસ્ટમાં તરત તપાસ શરૂ કરીને એક એક તાર જોડાતા ગયાં. 9 નવેમ્બરે જમ્મુ અને કાશ્મીર પોલીસે હરિયાણાના ફરીદાબાદના ધૌજ ગામમાં પુલવામાના રહેવાસી ડો. મુઝમ્મિલ શકીલના ઘરે દરોડા પાડ્યા હતા. તેમના રૂમમાંથી 360 કિલો વિસ્ફોટક અને એક એસોલ્ટ રાઇફલ મળી આવી હતી. 4 કિમી દૂર ફતેહપુર ટાગા ગામમાં એક મૌલવીના ઘરેથી 2563 કિલો શંકાસ્પદ એમોનિયમ નાઈટ્રેટ મળી આવ્યું હતું. દિલ્હી વિસ્ફોટ અને આ દરોડા વચ્ચે ચાર કનેક્શન બહાર આવ્યા. મોહમ્મદ ઉમરે જ આ ફિદાયીન હુમલાનો પ્લાન ઘડ્યો હતો? દિલ્હી પોલીસ, ATS, NIA જેવી એજન્સીઓની પ્રાથમિક તપાસમાં કેટલીક વાતો સામે આવી છે. દિલ્હી પોલીસે 100થી વધારે CCTV ફંફોસ્યા પછી એવી વાત બહાર આવી કે જે આઈ-20 કારમાં બ્લાસ્ટ થયો તે કાર 10 નવેમ્બરે સવારે 7:30 વાગ્યે હરિયાણાના ફરિદાબાદની એશિયન હોસ્પિટલ પાસે પાર્ક થયેલી જોવા મળી હતી. એ પછી બદરપુર ટોલથી થઈને કાર રાજધાની દિલ્હીમાં એન્ટર થઈ હતી. મોહમ્મદ ઉમર જ કાર ચલાવીને દિલ્હી આવ્યો હતો. મોહમ્મદ ઉમર ફરિદાહબાદની અલ-ફલાહ મેડિકલ કોલેજમાં ડોક્ટર હતો.પણ તેનું ગામ કાશ્મીરના પુલવામાના કોઈલ છે. પોલીસે રાતોરાત પુલવામાના કોઈલ ગામેથી મોહમ્મદ ઉમરના ઘરેથી તેના બે ભાઈઓ આસીફ હુસેન ઉમર અને નાનો ભાઈ ઝહૂર ઈલાહી ઉમરને ઉઠાવી લીધા. આસીફ હુસેનની પત્ની અને મોહમ્મદ ઉમરની ભાભીએ મીડિયાને એવું કહ્યું કે મોહમ્મદ ઉમર આવું કરી શકે તે માનવામાં નથી આવતું. નાનપણમાં અમે ગરીબી બહુ જોઈ છે. કમાનારો તે એક જ હતો. અમને તેના પર બહુ આશા હતી. તે ફરિદાબાદ હતો અને બે મહિનાથી પુલવામાના ઘરે આવ્યો નથી. પરિવારજનો ફોનમાં પૂછતા કે તું ઘરે ક્યારે આવીશ? તો કહેતો કે મારે ભણવાનું બહુ છે. આખો દિવસ લાઈબ્રેરીમાં બેસવું પડે છે, હમણાં તો નહિ આવી શકું. બ્લાસ્ટ પાછળ જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાની આશંકા ઈન્ડિયા ટુડેના જમ્મુ-કાશ્મીરના બ્યુરો ચીફ મીર ફરીદ છે. તેમણે તેના ઈન્ટેલ સોર્સમાંથી માહિતી મેળવીને રિપોર્ટ લખ્યો છે. તેમાં તેમણે લખ્યું છે કે બોમ્બ બ્લાસ્ટના બીજા દિવસે 11 નવેમ્બરે સવારે ત્રણ મોટી ધરપકડ થઈ છે. જેમાં 27 વર્ષનો આમીર આશીદ, જે વ્યવસાયે પ્લમ્બર છે. 30 વર્ષનો ઉમર રાશીદ સરકારી નોકરી કરે છે. 44 વર્ષનો તારીક મલિક છે જે જમ્મુ-કાશ્મીર બેન્કમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરે છે ને પુલવામાનો રહેવાસી છે. એ વાતની પણ આશંકા છે કે જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરના ઘણા સંબંધીઓ ઓપરેશન સિંદૂર વખતે માર્યા ગયા હતા. ભારતે બહાવલપુરમાં જૈશના મુખ્ય અડ્ડા સુભાન અલ્લાહ મસ્જિદમાં મિસાઈલો છોડી હતી. આ હુમલામાં મસૂદ અઝહરનો ભાઈ અબ્દુલ રઉફ અઝહર માર્યો ગયો હતો. અબ્દુલ અઝહર કંદહાર કાંડ, સંસદ હુમલા અને પઠાણકોટ એટેકમાં સંડોવાયેલો હતો. આ સિવાય મસૂદ અઝહરની બહેન, બનેવી મળીને 14 લોકોનાં મોત થયાં હતા. ત્યારથી જૈશનો પ્લાન હતો કે ભારતને કેવી રીતે નુકસાન પહોંચાડી શકાય. જૈશના આતંકીઓએ દિલ્હીમાં સિરિયલ બ્લાસ્ટનો પ્લાન તૈયાર કર્યો હતો પણ તે સફળ થયો નહિ. જૈશ-એ-મોહમ્મદે જ હરિયાણાના ફરિદાબાદના ડોક્ટર મોહમ્મદ ઉમરનું બ્રેઈન વોશ કરીને કટ્ટર બનાવી દીધો. ડોક્ટરોની ટેરર લેબ અને વ્હાઈટ કોલર ટેરરિઝમ પહેલાં એવું હતું કે જે બેરોજગાર યુવાનો છે, જેની પાસે કામ નથી તેમને બે પૈસા આપીને બ્રેઈન વોશ કરીને જેહાદી કૃત્ય કરાવાતું હતું. ફિદાઇન ટ્રેનિંગ અપાતી હતી. આ વખતે આપણને તેમાં વ્હાઈટ કોલર ટેરરિઝમ દેખાય છે. તેમાં ત્રણ તો ડોક્ટર છે. ડોક્ટર મોહમ્મદ ઉમર, ડોક્ટર મુઝમ્મિલ, ડોક્ટર શાહીના અને ડોક્ટર અદીલ મજિદ આ ચારેય શ્રીનગરની સરકારી મેડિકલ કોલેજમાં ભણતા હતા અને આ મિત્રો હતા. એ પછી ચારેય ફરીદાબાદ ભણવા આવી ગયા. બ્લાસ્ટ પછી ડો. મુઝમ્મીલ, ડો. શાહીના અને ડો. આદિલની ફરિદાબાદની અલ-ફલ્લાહ મેડિકલ કોલેજમાંથી ધકપકડ કરવામાં આવી. ત્રીજો ડોક્ટર મોહમ્મદ ઉમર કાર ચલાવતો હતો અને તેમણે આત્મઘાતી હુમલો કર્યો હોવાનું મનાય છે. એટલે સ્થળ પરથી મળેલા અંગોનો DNA ટેસ્ટ કરીને કડી મેળવાશે. પણ મૂળ વાત એ છે કે આતંકીઓ હવે હાઈપ્રાફાઈલ પ્રોફેશનમાં હોય તેને ટાર્ગેટ કરે છે. હવે જાણો ચારેય ડોક્ટર આતંકી વિશે… દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય ચહેરો ડોક્ટર મોહમ્મદ ઉમર હતો. શ્રીનગરની કોલેજમાં ભણીને હરિયાણાના ફરિદાબાદ આવી ગયો. ત્યાં મેડિકલ કોલેજમાં ડોક્ટર હતો પણ તે શું કર્યા કરતો હતો તે કોઈ જાણતું નહોતું. તેનું ઘર કાશ્મીરના પુલવામાના કોઈલ ગામે છે. તે બે મહિના પહેલાં પોતાના ગામ ગયો હતો પછી તે ગયો નહોતો. દિલ્હીમાં જે બોમ્બ બ્લાસ્ટ થયો તે આઈ-20 કાર ફરિદાબાદથી લઈને મોહમ્મદ ઉમર જ નીકળ્યો હતો. આદિલ મોહમ્મદ અનંતનાગનો રહેવાસી છે. સિનિયર ડોક્ટર આદિલ મોહમ્મદે 19 ઓક્ટોબરે શ્રીનગરમાં જૈશ-એ-મોહમ્મદના સમર્થનમાં પોસ્ટર લગાવ્યા હતા અને સીસીટીવી ફૂટેજના કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી. 6 નવેમ્બરે સહારનપુરમાં તેમની ધરપકડ બાદ રહસ્ય ઉકેલાયું હતું. અનંતનાગમાં તેમના લોકરમાંથી એક રાઇફલ અને અન્ય હથિયારો મળી આવ્યા હતા. ફરીદાબાદમાં ધરપકડ કરાયેલી ડૉ. શાહીના ભારતમાં જૈશ આતંકવાદી સંગઠન માટે મહિલા પાંખની સ્થાપના અને ભરતી માટે જવાબદાર હતી. જમાત-ઉલ-મોમિનાત જૈશની મહિલા વિંગ છે. ડૉ. શાહીનાને ભારતમાં કમાન સોંપવામાં આવી હતી. મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહર જૈશની મહિલા વિંગની જવાબદારી સંભાળે છે. સાદિયા અઝહરનો પતિ યુસુફ અઝહર કંદહાર હાઇજેકિંગનો માસ્ટરમાઇન્ડ હતો. આદિલની ધરપકડ પછી ડો. મુઝમ્મિલ શકીલ જમ્મુ અને કાશ્મીર અને હરિયાણાની પોલીસ ટીમોના રડાર પર હતો. ફરીદાબાદના ધૌજમાં ડૉ. મુઝમ્મિલના ભાડાંના રૂમમાંથી 360 કિલો વિસ્ફોટકો, એસોલ્ટ રાઇફલ્સ અને ટાઈમર-વોકી-ટોકી મળી આવ્યા હતા. નજીકના ગામમાં અન્ય એક ઠેકાણા પરથી 2,500 કિલોથી વધુ વિસ્ફોટકો (એમોનિયમ નાઈટ્રેટ)નો મોટો જથ્થો પણ મળી આવ્યો હતો. પુલવામાનો રહેવાસી મુઝમ્મિલ ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં પણ ભણાવતો હતો. કારમાં એમોનિયમ નાઈટ્રેટ હોવાની આશંકા NIAના દરોડામાં જમ્મુ-કાશ્મીર અને ફરિદાબાદમાંથી આતંકીઓ પાસેથી 2900 કિલો એમોનિયમ નાઈટ્રેટ મળી આવ્યું. શું તેનાથી આ પ્રકારનો બ્લાસ્ટ થાય? તો જવાબ છે-હા. કારણ કે કોલસાની કે બીજી કોઈ ખાણમાં મોટા અને કઠોર પથ્થર તોડવા માટે એમોનિયમ નાઈટ્રેટથી બ્લાસ્ટ કરવામાં આવે છે. એમોનિયમ નાઈટ્રેટની સાથે ફ્યૂલ ઓઈલ મિક્સ કરાય છે અને તેની પ્રક્રિયાથી ગેસ બને છે. આ ગેસની તાકાત એટલી પ્રચંડ હોય છે કે તેનો બ્લાસ્ટ થાય તો આસપાસ ભૂકંપ આવ્યો હોય તેવી અનુભૂતિ થાય છે. દિલ્હી બ્લાસ્ટમાં આસપાસના લોકોએ આવો જ અનુભવ કર્યો હતો. બીજા બે ડોક્ટર પણ રડારમાં દિલ્હીમાં અગાઉ પણ બોમ્બ બ્લાસ્ટ થયા હતા મોદીની ગર્જનાથી પાકિસ્તાન થથર્યું દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયા પછી પાકિસ્તાનના પગ નીચે રેલો આવ્યો છે. પાકિસ્તાન સમજી ગયું કે આ નક્કી મુનીરના કારનામા છે ને આપણે ભોગવવું પડશે. એટલે કાંઈ વિચાર્યા વગર રાજસ્થાન સરહદ પર પાકિસ્તાન વાયુસેનાએ પેટ્રોલિંગ શરૂ કરી દીધું. તેનાં ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓએ એક ઈમરજન્સી મિટિંગ કરી. વડાપ્રધાન શાહબાઝ શરીફે મોડીરાત સુધી NSA અને ISIના ડિરેક્ટર જનરલ સાથે પણ બેઠકો કરી. આ દરમિયાન યુકે વિદેશ કાર્યાલય (FCDO)એ વિસ્ફોટ બાદ ભારતના અમુક વિસ્તારો માટે મુસાફરી સલાહ જાહેર કરી છે. બ્રિટિશ સરકારે તેના નાગરિકોને ભારત-પાકિસ્તાન સરહદથી 10 કિલોમીટરની અંદર અને જમ્મુ-કાશ્મીર અને મણિપુર રાજ્યોમાં મુસાફરી ન કરવાની સલાહ આપી છે. ટૂંકમાં પાકિસ્તાનની ત્રણેય સેના એલર્ટ પર છે. મીડલ ઈસ્ટના દેશો, યુરોપીયન દેશોએ બોમ્બ બ્લાસ્ટની નિંદા કરી છે અને હવે મોદીએ ભૂતાનથી ગર્જના કરી છે એટલે પાકિસ્તાનની નિંદર પણ ઊડી ગઈ છે. છેલ્લે, વડાપ્રધાન ભૂતાન ગયા છે. ભૂતાનના કિંગના જન્મ દિવસ નિમિત્તે પહોંચ્યા હતા અને ભૂતાનમાં મોદીએ સંબોધન કર્યું. તેમાં મોદીએ કહ્યું કે બહુ ભારે મનથી આવ્યો છું. દિલ્હીમાં થચેલી ઘટનાએ દરેકના મનને વ્યથિત કરી દીધું છે. આ ઘટનાના ષડયંત્રકારીઓને છોડાશે નહિ. આ બધા વચ્ચે બિહારની ચૂંટણીની ચર્ચા ઠપ છે પણ પહેલગામ હુમલા પછી મોદીએ એવું કહેલું કે દોષિતોને એવી સજા અપાશે કે તેમણે કલ્પના પણ નહિ કરી હોય. મોદીએ એ વખતે આ વાત બિહારમાં જ કરી હતી. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ... આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)
જામનગર જિલ્લામાં લાલપુરથી ત્રણ પાટિયા સુધીના 30 કિલોમીટર લાંબા રાજ્ય ધોરીમાર્ગ પર રિસર્ફેસીંગનું કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ આ અત્યંત વ્યસ્ત માર્ગનું સમારકામ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીથી વરસાદને કારણે થયેલા ખાડાઓ અને ખરાબ રસ્તાથી પરેશાન વાહનચાલકો તથા રાહદારીઓને મોટી રાહત મળશે. કાર્યપાલક ઈજનેર વિજય ગૌસ્વામીએ જણાવ્યું કે, વરસાદ બંધ થતાં જ જિલ્લાના તમામ મહત્વપૂર્ણ માર્ગોનું સમારકામ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવાયું છે. ગૌસ્વામીએ વધુમાં જણાવ્યું કે, આ માર્ગ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટ્રાફિક માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ટૂંકા ગાળામાં આ માર્ગને સંપૂર્ણપણે સુધારીને વાહન વ્યવહાર માટે સરળ અને સલામત બનાવવામાં આવશે. લાલપુરથી ત્રણ પાટિયા સુધીનો આ માર્ગ માત્ર શહેરને જ નહીં, પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને અન્ય શહેરોને પણ જોડે છે. દરરોજ હજારો વાહનચાલકો આ માર્ગનો ઉપયોગ કરતા હોવાથી, કામ ઝડપથી પૂર્ણ કરવા માટે સતત પ્રયાસો ચાલુ છે.
વડોદરા શહેરમાં અસમાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. ગત મોડી રાત્રે હરિનગર બ્રિજ પાણીની ટાંકી પાસે ચાઇનીઝ ખાવા આવેલા કેટલાક ઈસમો દ્વારા લારી ધારકને તે ચાઈનીઝ તીખું બનાવી દિધું છે તેમ કહી ચાઈનીઝ લારીના કારીગરને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં આ કારીગરને માથા અને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી છે. આ કારીગર પર છરા, પાઇપ અને બ્લોક બેડ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે અકોટા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચાઇનીઝ તીખું કેમ બનાવ્યું કહી યુવકને ઢોર માર માર્યોઈજાગ્રસ્ત રાજેશભાઈના ભાઈ વિપુલ જોગડિયાએ જણાવ્યું હતું કે, મારો ભાઈ હરિનગર ચાઇનીઝની લારી પર કારીગર તરીકે કામ કરે છે. તેની બાજુમાં પાઉંભાજીની લારી છે. ચાઈનીઝ લારીના માલિકનો છોકરો તેઓની બાઈક લઈ ગયો હતો તે બાબતે બોલાચાલી થઈ હતી. પાઉંભાજી ધારકે કેટલાક લોકોને બોલાવ્યા હતા તેઓ નશાની હાલતમાં આવ્યા હતા. તે દરમિયાન ચાઇનીઝ બનાવડાવ્યું અને એક એક ચમચી ખાઈ અને તે ચાઈનીઝ તીખું બનાવ્યું છે તેવું કહી બબાલ કરી હતી. બાદમાં પાઈપના ફટકા, છરા અને બાબુ વડે માર માર્યો હતો. આ ઘટનામાં મારા ભાઈને માથાના ભાગે અને આંગળીઓ કાપી નાખી છે. છરી, બ્લોક અને પાઈપ વડે આરોપીઓ તૂટી પડ્યા હતાવધુમાં કહ્યું કે, મારા ભાઈના સ્ટેટમેન્ટ પ્રમાણે, પાઉંભાજીની લારીવાળા ભાઈની બાઈક મારા ભાઈના માલિકનો છોકરો લઈ ગયો હતો. જે બાઈક લઇને આવ્યા પછી બબાલ થઈ હતી. મારા ભાઈનો કઈ વાંક ન હતો તેમ છતાં તેને માર્યો હતો. પહેલા પાંચ લોકો આવ્યા અને પાછળથી બીજા ત્રણ લોકો આવ્યા હતા. બ્લોક અને છરો હતો તે મરવા જતા મારા ભાઈએ પકડી લેતા આંગળા કપાઈ ગયા હતા. 'બનાવ બન્યો ત્યારે હું ત્યાં હાજર ન હતો, મને ખ્યાલ નથી'આ અંગે ચાઈનીઝ લારીના માલિક સુરેશભાઈએ જણાવ્યું કે, જ્યાં બનાવ બન્યો ત્યાં હું હાજર ન હતો, આખો બનાવ બન્યો ત્યારે મારો દીકરો ત્યાં હતો. આ બનાવ રાત્રે મોડે બન્યો હતો. બાઇક બાબતે મને ખબર નથી, બબાલ કરનારના નામ ખબર છે. પોલીસે હુમલો કરનાર આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરીઆ અંગે અકોટા પોલીસ મથકના PI ડી.વી.બળદાણીયાએ જણાવ્યું હતું કે, આ મામલે પોલીસ તપાસ કરી રહી છે, હાલમાં ફરિયાદની કાર્યવાહી ચાલી રહી છે અને જે કોઈ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે.
પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે સામખીયારી અને લાકડીયા પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા ₹1,66,01,351/- (એક કરોડ 66 લાખ એક હજાર ત્રણસો એકાવન રૂપિયા)ના ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કર્યો છે. આ કાર્યવાહી ભચાઉ નજીક ગણેશ ટીંબી ખાતે કરવામાં આવી હતી. લાકડીયા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024-2025 દરમિયાન પ્રોહીબીશનના કુલ 28 ગુનાઓમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યો હતો. કબજે કરાયેલા દારૂનો નાશ કરવા માટે નામદાર કોર્ટનો હુકમ મેળવવામાં આવ્યો હતો. ભચાઉના ગણેશ ટીંબી જગ્યા પાસે જે.આર. ગોહિલ (સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ, ભચાઉ), સાગર સાંબડા (નાયબ પોલીસ અધિક્ષક, ભચાઉ), પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવી, અને નશાબંધી અને આબકારી અંજાર વિભાગના પી.એસ.આઈ. એચ.એસ. બારોટની હાજરીમાં, તેમજ સરકારી પંચોની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરવામાં આવ્યો. નાશ કરાયેલા દારૂમાં 6720 વિદેશી દારૂની બોટલો (કિંમત ₹64,74,816), 26067 બિયર નંગ (કિંમત ₹64,77,335), અને 14720 ક્વાર્ટરીયા નંગ (કિંમત ₹36,49,200)નો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત ₹1,66,01,351/- થાય છે.
ગઈકાલે નવી દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર દેશની પોલીસને એલર્ટ કરવામાં આવી છે. આ ઘટનાના પગલે નવસારી જિલ્લા પોલીસે પણ સક્રિયતા દાખવી છે અને જિલ્લાભરમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. આ કોમ્બિંગનો મુખ્ય હેતુ શહેરી વિસ્તારોમાં છુપાયેલા શંકાસ્પદ વ્યક્તિઓ, આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો અને અસામાજિક તત્વોને શોધી કાઢવાનો છે. નવસારી ટાઉન પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારો સહિત જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નવસારીના DYSP એસ.કે. રાયે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, દિલ્હી બ્લાસ્ટની ઘટનાના અનુસંધાને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ આ કોમ્બિંગનું આયોજન કરાયું છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓ અને વિસ્તારોની તપાસ કરવામાં આવી રહી છે. DYSP રાયે વધુમાં જણાવ્યું કે, દરિયાકિનારાના વિસ્તારોમાં પણ બોટ દ્વારા પેટ્રોલિંગ ચાલુ છે. તેમણે જાહેર જનતાને અપીલ કરી છે કે, કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ જણાય તો તાત્કાલિક નવસારી જિલ્લા પોલીસનો સંપર્ક કરે. લોકોને જાગૃત કરવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા અસામાજિક તત્વોનું વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે, જેમાં તેઓ હાજર છે કે નહીં તેની તપાસ કરાઈ રહી છે. આ ઉપરાંત, અન્ય કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ હોય તો તેમને પણ વેરિફાય કરવાનું કામ નવસારી જિલ્લા પોલીસ દ્વારા સક્રિયપણે ચાલી રહ્યું છે, જેથી દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન ટાળી શકાય.
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રાણપુર ગામના ખેડૂત ભોઈ ભગવાનભાઈ ભામાભાઈએ કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન અંગે પોતાનો અનુભવ વ્યક્ત કર્યો છે. તેમણે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજની સરાહના કરી છે. ભગવાનભાઈએ જણાવ્યું કે આ વર્ષે ચોમાસુ સારું રહેતા ડાંગર સહિતના પાકની ખેતી સારી થઈ હતી અને સારા પાકની આશા હતી. જોકે, પાકની કાપણીની તૈયારી સમયે જ અણધાર્યો કમોસમી વરસાદ આવતા ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. આ કપરી પરિસ્થિતિમાં, ગુજરાત સરકારે ત્વરિત સર્વેની જાહેરાત કરી, જેનાથી ખેડૂત સમાજમાં આશા જાગી. ભોઈ ભગવાનભાઈએ આ સંવેદનશીલ અને ખેડૂતલક્ષી નિર્ણય બદલ સરકારનો આભાર માન્યો. તેમણે ખાસ કરીને સરકાર દ્વારા જાહેર કરાયેલા ₹10,000 કરોડના મહત્ત્વપૂર્ણ સહાય પેકેજને આવકાર્યું. આ વળતર તેમને રવિ પાકની તૈયારી કરવામાં અને આગામી વાવેતર માટેના બીજ, ખાતર વગેરેની વ્યવસ્થા કરવામાં મદદરૂપ થશે. તેમણે સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
કુંભારવાડા વિસ્તારમાં માઢીયા રોડ પર આવેલા રામાપીરના મંદિર પાસે ઉભા રહેવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં બે વ્યક્તિઓએ માતા અને પુત્ર પર હુમલો કરતાં માતાના ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું, આ મામલે ઇજાગ્રસ્ત માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસ બંને પિતા-પુત્ર ને ઝડપી લઈ કાયેસદરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદી રામુબેન વા/ઓ શામજીભાઈ સોલંકી ઉં.વ.-62, જેઓ ઘરકામ કરી ગુજરાન ચલાવે છે અને કુંભારવાડા, લાઈન નંબર-3 માં રહે છે, ગઇકાલે બપોરે લગભગ બે વાગ્યાના સુમારે તેમનો દીકરો નરેશભાઈ રામાપીરના મંદિરના ડેલા પાસે ઉભો હતો. આ સમયે ત્યાં સામે રહેતા અરજણ ભીમજીભાઈ ગોહિલ અને તેમનો દીકરો અશ્વિન અરજણભાઈ ગોહિલ બંને પોતાના હાથમાં ધોકા લઈને આવ્યા હતા. તેમણે નરેશભાઈને કેમ તું મંદિર પાસે ઉભો છે? કહીને ગાળો દેવાનું શરૂ કર્યું હતું. આ ઝઘડાની જાણ થતાં રામુબેન વચ્ચે પડીને મામલો સમજાવવા ગયા હતા. જોકે, આરોપી અશ્વિન અરજણભાઈ ગોહિલે ઉશ્કેરાઈ જઈને રામુબેનને તમે આઘા રહો તેમ કહી, તેમના હાથમાં રહેલો ધોકો રામુબેનના ડાબા હાથ ઉપર માર્યો હતો. આ હુમલા બાદ પિતા-પુત્રની જોડીએ મળીને નરેશભાઈને પણ આડેધડ લાકડીના ધોકાથી માર મારવાનું ચાલુ રાખ્યું હતું.ફરિયાદમાં રામુબેને હુમલાનું કારણ જણાવતા કહ્યું છે કે, આરોપી અરજણ ગોહિલ રામાપીરના મંદિરના દરવાજાને તાળું મારી દેતા હોય છે અને ત્યાં કોઈને ઊભા રહેવા દેતા નથી. નરેશભાઈ ત્યાં ઉભા હતા, જેને કારણે અરજણ અને તેના દીકરા અશ્વિને આવીને ગાળો આપી, તેમને ધોકાથી માર માર્યો હતો. રામુબેને તેમના ડાબા હાથે ફ્રેક્ચર કરવા અને દીકરા નરેશને મુંઢ ઇજા પહોંચાડવા બદલ અરજણ ભીમજીભાઈ ગોહિલ અને અશ્વિન અરજણભાઈ ગોહિલ સામે ધોરણસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે ફરિયાદ આધારે બંને પિતા-પુત્રને ઝડપી લઈ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહેસાણામાં સંજીવ ક્રેડિટ સોસાયટી નામની બ્રાન્ચ ચાલુ કરવામાં આવી હતી.આ બ્રાન્ચ દ્વારા ગ્રાહકોને પાંચ વર્ષમાં એક ના ડબલ તેમજ ઊંચા વ્યાજ આપવાની લાલચ આપી હતી. આ લાલચમાં વડ્સમાંના વૃદ્ધ આવી જતા વૃદ્ધએ પોતાના પરિવારના સભ્યોના નામે ખાતા ખોલાવી એક ના ડબલ અને ઊંચા વ્યાજ મેળવવાની લાલચમાં આવી વૃદ્ધે 18.11 લાખ રોકાણ કર્યું હતું. જોકે સમય જતાં ક્રેડિટ સોસાયટી બંધ થઈ જતા અને નાણા પરત ન આવતા વૃદ્ધે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં સાત વર્ષે ફરિયાદ નોંધાવી છે. સંજીવ ક્રેડિટ સોસાયટીના નામે ઠગાઈમહેસાણા જિલ્લામાં આવેલા વડ્સમાં ગામે રહેતા 75 વર્ષીય રાજપૂત જીલુંજી એ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, 2017ની સાલમાં મોઢેરા ચોકડી નજીક આવેલા હબ ટાઉનમાં સંજીવની ક્રેડિટ સોસાયટી લિમિટેડ ઓફિસ આવી હતી. ડબલ કરવાની લાલચે વૃદ્ધ ફસાયાઆ બેંકમાં ફરિયાદી ગયા હતા અને મેનેજરને મળ્યા હતા જ્યાં મેનેજરે કહ્યું કે અમારી બેંકમાં તમારી મૂડી ચાર વર્ષમાં ડબલ કરી આપશું અને જો ખાતામાં મૂડી જમા રાખશો તો તેનું બેન્કિંગ વ્યાજ કરતા ઊંચું વ્યાજ આપવામાં આવશે. અલગ અલગ ખાતા ખોલાવી રૂપિયા જમા કરાવ્યાત્યારબાદ ફરિયાદીએ 2018માં પોતાના પરિવારના કુલ સાત સભ્યના અલગ અલગ ખાતા ખોલાવી 18 લાખ 11 હજાર 918 રૂપિયા ડિપોઝીટ જમા કરાવ્યા હતા અને શેરના સર્ટિફિકેટ પણ આપ્યા હતાં.બાદમાં જોકે એ સમયે આ ક્રેડિટ સોસાયટી એક વર્ષ સુધી ચાલી હતી ત્યારબાદ 2019ની સાલમાં એકાએક બેન્ક બેન્ક બંધ થઈ ગઈ હતી. બાદમાં ફરિયાદીએ અમદાવાદ અને બાડમેરમાં તપાસ કરતા ત્યાં પણ ઓફિસો બંધ થઈ ગઈ હતી. બી ડિવિઝન પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાઈજેથી ફરિયાદીએ બાડમેરના વિક્રમસિંહ ઇનદોઈ થતા તેના પુત્ર પાસે પૈસાની માગણી કરતા પિતા પુત્ર એ અવારનવાર ખોટા વાયદા આપી રૂપિયા પરત કર્યા નહોતા જોકે આજ સુધી પૈસા પરત ન આવતા આખરે ફરિયાદીએ પિતા પુત્ર સામે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ઘટનાને પગલે બોટાદ જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસ ટીમો દ્વારા મંદિરના ગર્ભગૃહ, મંદિર પરિસર અને યાત્રાળુઓના સામાનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ ચેકિંગમાં SOG, LCB, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો જોડાઈ હતી. જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ માહિતી આપતા જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લાના અન્ય ધાર્મિક મંદિરોમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગઈકાલે રાત્રે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિત વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગઈકાલે બોટાદ પોલીસે રેલવે સ્ટેશન પર યાત્રિકોના સામાન, પાર્સલ અને અન્ય વસ્તુઓનું પણ ચેકિંગ કર્યું હતું, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ બોટાદ જિલ્લાના ગઢડામાં આહીરનગર વિસ્તારની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે દિલ્હી બ્લાસ્ટ અને ખેડૂતોને થયેલા નુકસાન અંગે નિવેદનો આપ્યા હતા. ગઢડા આહીર સમાજના આગેવાનો વાલેરાભાઈ રાઠોડ, મનુભાઈ ચાવડા, પ્રતાપભાઈ છૈયા, વિપક્ષ નેતા મીતભાઈ ડાંગર અને ભગવાનભાઈ લાવડીયા સહિતના મહાનુભાવોએ પ્રવીણભાઈ તોગડિયાનું શાલ ઓઢાડી અને ફુલહારથી સ્વાગત કર્યું હતું. દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ અંગે પ્રવીણ તોગડિયાએ કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આ ઘટના જેહાદી તત્વોની નાપાક હરકત છે. તેમણે આ બ્લાસ્ટને પહલગામ, અક્ષરધામ અને ગોધરા જેવી ઘટનાઓની યાદ અપાવનાર ગણાવ્યો હતો. તોગડિયાએ ઉમેર્યું કે, ભારતમાં RDX બનતું નથી, તેથી પાકિસ્તાનથી સરહદ પાર કરીને RDX કેવી રીતે ઘૂસ્યું તે ચિંતાનો વિષય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આવા જેહાદી તત્વોનો નાશ કરવા માટે પગલાં લેશે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાન અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે સરકાર ખેડૂતોને મદદ કરી રહી છે, પરંતુ શહેરોમાં રહેતા સમૃદ્ધ લોકોએ પણ ખેડૂત સહાય માટે આગળ આવવું જોઈએ. તોગડિયાએ માહિતી આપી કે, તેમણે પોતાના ગામથી શરૂઆત કરીને સમૃદ્ધ લોકો પાસેથી રકમ એકત્ર કરી છે. આ અંતર્ગત સાજણટીબા, ગઢડાના લીંબડિયા સહિત રાજ્યના ૩૪ ગામોમાં ખેડૂત સહાયની વ્યવસ્થા કરવામાં આવી છે.
પાલનપુરની બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલમાં મૂળ નેપાળના 32 વર્ષીય પ્રેમકુમારની કમરના મણકાની સફળ સર્જરી નિઃશુલ્ક કરવામાં આવી છે. તેઓ લાંબા સમયથી કમરના દુખાવાથી પીડાતા હતા. પ્રેમકુમાર છેલ્લા પાંચ મહિનાથી કમરના અસહ્ય દુખાવા ઉપરાંત જમણા પગમાં તીવ્ર દુખાવો, ઝણઝણાટી અને ભારેપણાની તકલીફ અનુભવી રહ્યા હતા. તેમને ચાલવામાં અને ઊભા રહેવામાં પણ મુશ્કેલી પડતી હતી. અગાઉ તેમણે પાલનપુરની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી, પરંતુ પીડામાં રાહત મળી ન હતી. ગત અઠવાડિયે તેઓ પરિવારજનો સાથે પાલનપુર સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં આવ્યા હતા. અહીં ડોક્ટરો દ્વારા તેમના અગાઉના રિપોર્ટ્સ તપાસવામાં આવ્યા અને સિવિલ હોસ્પિટલમાં નવા એક્સ-રે, એમ.આર.આઈ. સહિતના જરૂરી રિપોર્ટ્સ કરાવવામાં આવ્યા. આ રિપોર્ટ્સના આધારે તેમની પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ ઓપરેશન કરવાનો નિર્ણય લેવાયો. પરિવારજનોની સહમતી બાદ બીજા દિવસે ઓર્થોપેડિક વિભાગના ડો. ધવલ પ્રજાપતિ અને ડો. દર્શિલ સહિતના ડોક્ટર સ્ટાફ દ્વારા માઇક્રો એન્ડોસ્કોપિક ડિસ્કેક્ટોમી સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી. આ સર્જરી બાદ પ્રેમકુમારને બીજા જ દિવસે પીડામાંથી મુક્તિ મળી, જેનાથી તેમને અને તેમના પરિવારને મોટી રાહત થઈ હતી. લાખો રૂપિયાના ખર્ચે થતી આ પ્રકારની સર્જરી સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક કરવામાં આવી હતી. 15 દિવસની લાંબી સારવારના અંતે, દર્દી પ્રેમકુમાર સંપૂર્ણ સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરિવારે ડોકટરો અને નર્સિંગ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાજકોટનાં એક 30 વર્ષીય યુવકને નાકના પડદામાં ટયુમર હોવાનું સામે આવ્યું હતું. સામાન્ય રીતે કિડની અને જનિટોયૂરિનરી ટ્રેકમાં જોવા મળતું હોય તેવુ જ ટ્યુમર દર્દીને નાકનાં પડદામાં જોવા મળતા ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા હતા. જોકે ENT સર્જન ડો. હિમાંશુ ઠક્કરે આ દુર્લભ કહી શકાય તેવા ટ્યુમરની દૂરબીન વડે સફળ સર્જરી કરી હતી. અને દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ બન્યો છે. આ પ્રકારનો કેસ ભારતમાં સંભવત પ્રથમ અને દુનિયામાં માત્ર બીજો હોવાનો દાવો પણ તેમણે કર્યો છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં ENT સર્જન ડો. હિમાંશુ ઠક્કરે 30 વર્ષીય પુરુષ દર્દીના નાકમાં થયેલો અતિ દુર્લભ (Anastomosing Hemangioma of Nasal Septum) સફળ એન્ડોસ્કોપિક સર્જરીથી દૂર કરીને તબીબી ક્ષેત્રે વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. ઉપલબ્ધ મેડિકલ લિટરેચર અનુસાર આ ભારતમાંથી નોંધાયેલો કદાચ પ્રથમ કેસ છે.અને આખી દુનિયામાં માત્ર બીજો કેસ છે. સામાન્ય રીતે આ પ્રકારનો હેમેન્જિઓમા કિડની અને જનિટોયૂરિનરી ટ્રેકટમાં જોવા મળે છે, પરંતુ નાકના સેપ્ટમમાં આવું થવું દુર્લભ છે. ડો. હિમાંશુ ઠક્કરનાં જણાવ્યા મુજબ દર્દીને બે માસથી એક બાજુનાં નાકમાંથી વારંવાર રક્તસ્ત્રાવ થતો હતો અને નાક બંધ રહેવું તથા માથાનો દુખાવો થતો હતો. નાકની એન્ડોસ્કોપિક તપાસ દરમિયાન દર્દીના જમણા નાકમાં નેસલ સેપ્ટમ સાથે જોડાયેલું લાલ, મસા જેવી અસામાન્ય રચના જોવા મળી હતી. ત્યારબાદ કરાયેલ કોન્ટ્રાસ્ટ CT સ્કેનમાં ખબર પડી કે આ રક્તવાહિનીના ગૂંચથી બનેલું પોલિપ જેવું લીઝન છે, જે નેસલ સેપ્ટમ (નાકના પડદા)માં જોવા મળવું અત્યંત દુર્લભ છે. સાવધાનીપૂર્વકની એન્ડોસ્કોપિક તપાસ અને કોન્ટ્રાસ્ટ સાથેની CT સ્કેનથી સાચું નિદાન કરવામાં મદદ મળી હતી. ત્યારબાદ ટ્યૂમરને સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો છે, આ ટ્યુમરની બાયોપ્સીમાં તેને Anastomosing Hemangioma તરીકે પુષ્ટિ પણ મળી છે. જે એક બિન-કેન્સરજન્ય પરંતુ અત્યંત રેર વાસ્ક્યુલર લીઝન છે. ઓછામાં ઓછા બ્લીડિંગ સાથે સલામત રીતે ઓપરેશન પૂર્ણ થતા દર્દી હાલ પૂરેપૂરો સ્વસ્થ છે. ડો. હિમાંશુ ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે, નાકમાં આવું લીઝન જોવા મળવું અત્યંત અસામાન્ય છે. આ કેસ માત્ર રાજકોટ નહીં પરંતુ સંભવત પ્રથમ અને દુનિયામાં બીજો કેસ છે. ત્યારે આવા દર્દીની સફળ સારવાર થવી એ માત્ર રાજકોટ જ નહીં પરંતુ ભારતના મેડિકલ જગત માટે અત્યંત ગૌરવની વાત છે. આ દર્દીનું ઓછા બ્લીડીંગ સાથે સફળ ઓપરેશન થતા દર્દી સહિત તેના પરિવારનાં લોકોએ પણ આભાર વ્યક્ત કર્યો હતો.
વર્ષ 2023ની 20 જુલાઈએ અમદાવાદમાં જેગુઆર ગાડી બેફામ હંકારીને ઇસ્કોન બ્રિજ અકસ્માત સર્જી 9 લોકોના મૃત્યુ નિપજાવનારા તથ્ય પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો છે કે તથ્ય પટેલ સામે 03 સપ્તાહમાં ચાર્જ ફ્રેમ કરવામાં આવે અને સાક્ષીઓના નિવેદન લેવાના શરૂ કરવામાં આવે. જો કે આ પ્રક્રિયાથી તથ્ય પટેલની હાઇકોર્ટમાં કરેલી ડિસ્ચાર્જ અરજી ઉપર કોઈ અસર થશે નહીં. હવે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં તથ્ય પટેલ સામે 18 નવેમ્બરે ચાર્જ ફ્રેમની પ્રક્રિયા થશે. ઈસ્કોનબ્રિજ પર અકસ્માતમાં 9 લોકોના મોત અને 12 ઘાયલ થયા હતાઆ અકસ્માતમાં 9 ના મૃત્યુ ઉપરાંત કુલ 12 લોકો ઘાયલ થયા હતા. હજુ પણ એક વ્યક્તિ કોમામાં છે. તથ્યએ 141 કિલોમીટર જેટલી ઝડપે ગાડી હંકારી હતી. આ ઘટનાને બે વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે, તથ્યને સેશન્સ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ ક્યાંયથી પણ જામીન મળ્યા નથી. આ ઘટના અને તથ્યને જેલમાં બંધ થયા 2 વર્ષ પૂર્ણ થયા છે. આરોપી સામે IPC 304 લાગે કે 304A લાગે તેની રિવિઝન અરજી હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. આ બનાવ 20 જુલાઈ 2023નો છે. જેમાં આરોપી સામે 7 દિવસમાં ચાર્જશીટ ફાઇલ થઈ હતી અને સાહેદોના Crpc 164 મુજબ મેજિસ્ટ્રર સમક્ષ નિવેદન લેવાયા હતા. જો અરજદારની રિવિઝન અરજી મંજૂર થાય તો તેની ઉપર લાગેલી કલમો પૈકીની સજા જેલમાં કાપી લીધી છે. રિવિઝન અરજીમાં વધુ સુનવણી ન થાય ત્યાં સુધી, હાઇકોર્ટે તથ્યને ચાર્જફ્રેમ વિરુદ્ધ વચગાળાની રાહત યથાવત રાખી હતું. વળી પીડીઓએ આ કેસમાં વધુ તપાસ માટે અરજી કરી છે, જે પેન્ડિંગ છે. તથ્ય અત્યાર સુધીમાં બે વખત હંગામી જામીન ઉપર પોલીસ જાપ્તા સાથે બહાર આવેલ છે. જેમાં એક વખત તેના દાદાનું નિધન થયું હતું, જ્યારે બીજી વખત તેની માતાના ઓપરેશનની તારીખ હતી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની જાહેરાત મુજબ તથ્ય પટેલ સામે અકસ્માતના ફક્ત 07 દિવસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી હતી. જો કે તેને તેની ઉપર લાગેલી કેટલીક કલમોમાંથી ડિસ્ચાર્જ અરજી ફાઇલ કરી હતી. જેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દેતા તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. જેની ઉપર હજી સુધી ચુકાદો ન આવતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં તેની સામે ચાર્જફ્રેમ થઈ શક્યો નહોતો કે જેથી આગળ ટ્રાયલ પણ ચાલતી નહોતી. શું છે સમગ્ર ઘટના?19મી જુલાઈ, 2023ની મોડીરાત્રે, એટલે કે 20મી જુલાઈના રોજ અમદાવાદ શહેરના ઇસ્કોનબ્રિજ પર તથ્ય પટેલે લોકો પર જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાએ ગુજરાતભરમાં જ નહીં, દેશભરમાં ચર્ચા જગાવી હતી. તથ્ય હાલ સાબરમતી જેલની હવા ખાઈ રહ્યો છે.
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં રહેતા યુવકની જીમમાં આવતી યુવતી સાથે યુવકે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ યુવક અને યુવતી નંબર મેળવીને રોજ કોલ, મેસેજ તથા સોશિયલ મીડિયા પર ચેટિંગ કરતા હતા. આ દરમિયાન બંનેની મિત્રતા પ્રેમમાં પરીણમી હતી. યુવકે લગ્ન કરવાની લાલચ આપીને યુવતીના ઘરે આવી વારંવાર તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. આ ઉપરાંત બે વર્ષથી સાથે રહેતા યુવકે બહાર ફરવા લઇ જવાના બહાને પણ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવતીએ લગ્ન કરવાની વાત કરતા યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને તેને તરછોડીને જતો રહ્યો હતો. જેથી યુવતીએ આ મામલે જે પી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસ દ્વારા દુષ્કર્મના આરોપીની ધરપકડ કરી છે અને મેડિકલ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠામાં રહેતા મનિષ ચૌહાણ નામનો યુવક જીમમાં જતો હતો. જ્યાં કસરત કરવા એક 27 વર્ષીય યુવતી પણ ત્યાં કસરત કરવા આવતી હતી. આ દરમિયાન યુવક અને યુવતીની મુલાકાત થઇ હતી અને બંને વચ્ચે મિત્રતા થઈ હતી. ત્યારબાર બંને એકબીજાના મોબાઇલ નંબર લઈ લીધા હતા. જેથી તેઓ રોજ કોલ, મેસેજ અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને સતત ચેટિંગ કરતા હતા. જેથી તેમના બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. આ દરમિયાન યુવકે યુવતીને કહ્યુ હતું કે, હું તને ઘણો પ્રેમ કરુ છુ અને તારી સાથે લગ્ન કરવા માગુ છું, જેથી યુવતીને પણ તેના પર વિશ્વાસ આવી ગયો હતો, જેથી તેણે હા પાડી દીધી હતી. યુવક અવાર નવાર તેના ઘરે આવતો હતો ત્યારે યુવતીને શારીરિક સંબંધ બાંધવા માટે કહ્યું હતું. પરંતુ શરૂઆતમાં યુવતીએ તો પ્રતિકાર કર્યો હતો. યુવકે કહ્યું હતું કે, હવે તો આપણે લગ્ન કરવાના છે, તેવું કહીને ઇમોશનલ બ્લેકમેઈલ કરતા યુવતી તેના તાબે થઇ ગઇ હતી અને યુવકે યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યાં હતા ત્યારબાદ યુવક યુવતી સાથે રહેવા માટે જતો રહ્યો હતો. છેલ્લા બે વર્ષ દરમિયાન યુવકે યુવતી સાથે રહેતો હોય તેને બહાર ફરવા લઇ જવાના બહાને પણ અલગ હોટલોમાં તેમજ તેના ઘરમાં વારંવાર યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. જ્યારે યુવતી લગ્ન કરવાની વાત કરતી હતી, ત્યારે બહાના કાઢીને ધ્યાન આપતો ન હતો. આ દરમિયાન યુવકે યુવતી સાથે વાત કરવાનું બંધ કરી દીધુ હતું અને તેની સાથે રહેવા માટે જતો નહોતો, જેથી યુવતીએ ફોન તથા રૂબરૂ મળી કરીને લગ્ન કરવા માટે કહેતા યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને યુવતીને તરછોડી દીધી હતી. જેથી યુવતીએ પોલીસ ફરિયાદ નોધાવતા જે પી રોડ પોલીસે પરશુરામ ભઠ્ઠામાં રહેતા આરોપી મનીષ ચૌહાણની ધરપકડ કરી છે અને મેડિકલ કરાવીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પરણીતા પર સાસરિયાનો ત્રાસ:ભાવનગરની પરણીતાને રાજકોટના સાસરિયાઓએ ત્રાસ આપી ઘરમાથી કાઢી મૂકી
પરણીતાએ પતિ, સાસુ-સસરા અને દિયર વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં પિયર ધરાવતી પરણીતા પર રાજકોટના સાસરિયાઓએ શારીરિક માનસિક ત્રાસ આપી સાસરીમાંથી કાઢી મુકતા પરણીતાએ પિતાને ઘેર આશરો લીધો છે અને પતિ તથા સાસરિયાંઓ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે મહિલા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ 12 નંબરના બસ સ્ટેન્ડ પાસે સિંગલિયા સોસાયટીમાં રહેતી મનીષા ધર્મેન્દ્રભાઈ ચૌહાણ ઉ.વ.29 ના લગ્ન એક વર્ષ પહેલા હાલ રાજકોટ શહેરના નાના મોવા વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્ર ચંદુભાઈ ચૌહાણ સાથે જ્ઞાતિના રેતી રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ થોડા સમયમાં જ પતિ ધર્મેન્દ્ર, સસરા ચંદુભાઈ, સાસુ મુકતાબેન, અને દિયર કૃણાલે નાની નાની વાતમાં મહેણાંટોણાં મારી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને સમય જતા પ્રતિ મારકૂટ પણ કરતો હતો ગત 10 માં મહિનામાં પરણી તને પ્રેગ્નન્સી હોય અને તાવ આવતો હોય આમ છતાં સાસરિયા હોય તેની સારવાર કરાવી ન હતી, પરિણામે પરણીતાને મિસ કેરેજ પણ થઈ ગયું હતું અને ત્રાસ આપી સાસરીમાંથી કાઢી મુકતા મહિલા પિતાના ઘેર રહેવા આવી છે અને પતિ તથા સાસરીયા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર માટે આ ગૌરવની વાત છે કે તેના વધુ એક આરોગ્ય કેન્દ્રને ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સુઘડ આરોગ્ય કેંદ્રને રાષ્ટ્રીય ક્વોલિટી એવોર્ડ મળતાં આ કેંદ્રને બે લાખની વિશેષ ગ્રાન્ટ પણ મળશે. આ સાથે હવે ગાંધીનગર કોર્પોરેશનના કુલ 6 અર્બન હેલ્થ સેન્ટરો (UHCs) રાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તાનું સ્ટાન્ડર્ડ ધરાવતા થયા છે. સુઘડ આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય ક્વોલિટી એવોર્ડ, બે લાખની વિશેષ ગ્રાન્ટ ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) અંતર્ગત સુઘડ આરોગ્ય કેંદ્રને રાષ્ટ્રીય ક્વોલિટી એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ પ્રાપ્ત થતા સુઘડ UHC ને કેન્દ્ર સરકાર તરફથી ક્વોલિટી જાળવી રાખવા બદલ બે લાખ રૂપિયાની વિશેષ ગ્રાન્ટ મળવાપાત્ર થશે. આ અગાઉ ગાંધીનગર કોર્પોરેશનના સેક્ટર-2, સેક્ટર-24, સેક્ટર-29 અને પાલજ અર્બન હેલ્થ સેન્ટરને આ રાષ્ટ્રીય સ્તરનો એવોર્ડ મળી ચૂક્યો છે.જેના કારણે કોર્પોરેશનની આરોગ્ય સેવાઓની ગુણવત્તા રાષ્ટ્રીય ફલક પર ચમકી છે. આરોગ્ય ટીમે બે દિવસ માટે સુઘડ UHCની મુલાકાત લીધી ઉલ્લેખનીય છે કે,ભારત સરકારના આરોગ્ય વિભાગની બે સભ્યોની ટીમે ગત તારીખ 6 અને 7 ઓક્ટોબરના રોજ બે દિવસ માટે સુઘડ UHCની મુલાકાત લીધી હતી. આ ટીમ દ્વારા કેન્દ્રના વિવિધ વિભાગોની કામગીરીનું સઘન અવલોકન કરવામાં આવ્યું હતું. અર્બન હેલ્થ સેન્ટર સુઘડને 100માંથી ઉત્કૃષ્ટ 89.43 ગુણ (ટકા)આ નિરીક્ષણ ટીમે ઓપીડી રૂમ, ઇન્જેક્શન રૂમ, વહીવટી વિભાગ, રસીકરણ અને સ્પેશિયાલિટી વિભાગ સહિત કુલ 12 વિભાગોની કામગીરી ચકાસી હતી. આ મૂલ્યાંકનમાં અર્બન હેલ્થ સેન્ટર સુઘડને 100માંથી ઉત્કૃષ્ટ 89.43 ગુણ (ટકા) પ્રાપ્ત થયા છે. કોર્પોરેશનના આરોગ્યતંત્રના સક્ષમ પ્રયાસોના પરિણામે આ સિદ્ધિ મળી છે. જે દર્શાવે છે કે ગાંધીનગરના આરોગ્ય કેન્દ્રોએ રાષ્ટ્રીય કક્ષાના ક્વોલિટી સ્ટાન્ડર્ડને સફળતાપૂર્વક જાળવી રાખ્યું છે.
ગાંધીધામની માઉન્ટ કારમલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ફૂડ મેળાનું આયોજન થયું હતું. શાળાના મેદાનમાં ગત રવિવારની સાંજે કેથલિક ચર્ચ દ્વારા ફૂડ મેળાનું આયોજન કરાયું હતું. આ મેળામાં વેજ સાથે નોનવેજની આઈટમો પણ વેંચાણ અર્થે કાઉન્ટર ઉપર મુકાઈ હતી. આ ઘટનાના પગલે વિશ્વ હિન્દુ પરિષદ અને એબીવીપીના કાર્યકરોએ શાળામાં પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. બન્ને સંસ્થાના સભ્યોએ ઉગ્ર રજૂઆત કરી હિન્દૂ છાત્રોને નોનવેજ મેળામાં સામેલ કરવા બદલ શાળાની માફીની માંગ કરી હતી અને આયોજકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગ કરી હતી. અલબત્ત શાળા તરફથી આ મામલે હાલ લેખિત માફી માંગી લેવામાં આવી છે. ગાંધીધામ વીએચપીના રવિ ગઢવીએ નિવેદન આપ્યું હતું કે, માઉન્ટ કારમલ શાળાના મેદાનમાં જે કેથલિક ચર્ચ દ્વારા ફૂડ મેળાનું આયોજન કરાયું હતું. તેમાં શાળાના છાત્રોમાં તેના કુપન વેચવામાં આવ્યા હતા અને તેમાં સામેલ થવા પ્રેરિત કરવામાં આવ્યાં હતા. આ મેળામાં માસ મટન પીરસવામાં આવ્યું હતું. આ શાળામાં 80થી 90 ટકા છાત્રો સનાતન ધર્મના છે, ત્યારે તેઓને કોઈ જ આગોતરી સૂચના વિના મેળામાં સામેલ કરાયા તેનાથી સનાતન સમાજની લાગણી દુભાઈ છે. આ બદલ શાળા સંચાલકો માફી માંગે અને આયોજક ચર્ચ સામે કાયદેસરના પગલાં ભરે. બજરંગ દળના વિવેક અહિરે કહ્યું હતું કે, શાળા સંકૂલના મેદાનમાં જે ફૂડ મેળામાં નોનવેજ વેંચાણમાં રખાયું હતું , તેમાં શાળાની બેદરકારી છે. કોઈ જ પ્રકારની માહિતી વિના ચર્ચને આ મેળાની પરવાનગી આપી દેવાઈ તે ગેરકાયદે વાત છે. આ શાળામાં પણ સનાતન સમાજના બાળકો અભ્યાસ કરે છે. શાળાની આ હરકત ગેરકાયદેસરની છે. આ માટે શાળાએ માફી માંગવી જોઈએ. દરમિયાન ફૂડ મેળામાં નોનવેજની સામેલગીરીનો મામલો ગરમાતો જોઈ જવાબદાર શાળાના આચાર્ય તરફથી લેટરહેડ ઉપર લેખિત માફી માંગતો પત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પત્રમાં લખ્યું છે કે, ગત તારીખ 09/11/2025 ના રોજ Mount Carmel High School ના ગ્રાઉન્ડમાં સેન્ટ થોમસ કેથોલિક ચર્ચ દ્વારા ફુડ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન દરમિયાન ભૂલથી નોનવેજ ભોજન પીરસવામાં આવ્યું હતું, જે અમારી પ્રથમ અને અંતિમ ભૂલ છે. જે ભવિષ્યમાં કયારે પણ પુનરાવર્તન કરવામાં નહીં આવે. જો આવી ઘટના ભવિષ્યમાં અમારા શાળા દ્વારા થશે તો હું પ્રિન્સિપાલ પદેથી રાજીનામું આપી દઈશ અને આ ઘટના બનવા બદલ હિન્દુ સમાજની લાગણી દુભાણી હોય તેની અમે હૃદયપૂર્વક દિલગીર વ્યક્ત કરીએ છીએ અને માફી માંગીએ છીએ.
મહેસાણા જિલ્લાના ખેરાલુ, ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા અને વિજાપુરના 17,91,905 મતદારો માટે 1.810 બુથ લેવલ ઓફિસર્સ મતદારયાદી અપડેટ કરવાની કામગીરીમાં લાગી ગયા છે. 9 નવેમ્બર સુધીમાં 9,09,415 ફોર્મનું વિતરણ કરી દેવામાં આવતાં 50.75 ટકા કામગીરી થઈ ચુકી છે. આગામી 4, ડિસેમ્બર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાનો લક્ષાંક અપાયો છે. NRIના મતદાર યાદીમાં નામ કન્ફર્મેશન ન મળે ત્યાં સુધી જ ચાલુ રહેશેહાલમાં બીએઓ દ્વારા ઘરે ઘરે ફરીને મતદોરોને ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મહેસાણા જિલ્લામાં મોટાભાગના અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને જર્મની જેવા દેશમાં વસવાટ કરતા NRIના નામ મતદાર યાદીમાંથી જ્યાં સુધી કન્ફર્મેશન ના મળે ત્યાં સુધી ચાલુ જ રહેશે. કાયમી સ્થળાંતરના પુરાવા મળેથી નામ કમી કરવામાં આવશે. સૌથી વધુ કડી તાલુકામાં 81.38 ટકા કામગીરી થઈમહેસાણા જિલ્લામાં મતદાર યાદી વેરીફીકેશન સૌથી વધુ કડી તાલુકામાં 81.38 ટકા કામગીરી થઈ છે. જ્યારે સૌથી ઓછી વિજાપુર તાલુકામાં 27.95 ટકા જ થઈ છે. જ્યારે વિસનગરની સૌથી ઓછીમાં બીજા નંબરે એટલે કે 33.99 કામગીરી થઈ છે. અનેક મતદારો ફોટો અને આધારકાર્ડની વિગતો આપવામાં વિલંબ કરતા હોવાથી આ કામગીરી વિલંબિત થઈ રહી છે. નકલી અને ડુપ્લિકેટ મતદારોને દૂર કરવા પર ભારSIRની પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ નકલી અથવા ડુપ્લિકેટ મતદારોને દૂર કરીને મતદાર યાદીને અપડેટ કરવાનો છે. SIRની કામગીરીમાં ખાસ કરીને શહેરી મતદારો, કામચલાઉ રીતે સ્થળાંતર કરનારા નાગરિકો, મૃતકો, કાયમી સ્થળાંતર થયેલા અને એક કરતાં વધુ જગ્યાએ નોંધાયેલા ઓળખ કરશે. મહેસાણાના મામલતદાર ગૌતમભાઈ ડી.વાણીયાએ જણાવ્યું હતું કે, રવિવારે બીએલઓની સમીક્ષા બેઠક મળી હતી અને અનેક પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. 2002-2004ની અગાઉની SIR યાદીઓનો ઉપયોગ કરીને વિગતો ચકાસવાની સુવિધા આપવામાં આવી છે.
દેશની રાજધાની દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ સુરત શહેર પોલીસ સફાળી જાગી છે અને શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, સુરતમાં સ્લીપર સેલની ગતિવિધિઓને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સુરક્ષા વ્યવસ્થાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. 15 સંવેદનશીલ કેસોના આરોપીઓનું લિસ્ટ તૈયારપોલીસ કમિશનરે જણાવ્યું કે, સુરતમાં ભૂતકાળમાં બોમ્બ પ્લાન્ટ જેવા સંવેદનશીલ કેસો સહિત કુલ 15 જેટલા ગંભીર કેસો સાથે સંકળાયેલા તમામ આરોપીઓ અને શંકાસ્પદ લોકોનું એક વિસ્તૃત લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. સુરત પોલીસ આ તમામ 15 કેસ સાથે જોડાયેલા લોકો પર બાજ નજર રાખી રહી છે અને તેમની દરેક હિલચાલ પર વોચ ગોઠવવામાં આવી છે. સાયબર ટીમ સક્રિય, ડાર્ક વેબ પર નજરસુરક્ષા માત્ર ફૂટ પેટ્રોલિંગ કે બંદોબસ્ત પૂરતી સીમિત નથી. સુરત પોલીસે હવે સાયબર ટીમને પણ સંપૂર્ણપણે એક્ટિવ કરી છે. સોશિયલ મીડિયા પર વાંધાજનક કમેન્ટ્સ કરનારા, ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ કરનારા અને ખાસ કરીને ડાર્ક વેબનો ઉપયોગ કરનારા લોકો ઉપર વોચ રાખવામાં આવી રહી છે, જેથી કોઈ પણ પ્રકારની આતંકવાદી ગતિવિધિઓને શરૂઆતમાં જ ડામી શકાય. કોસ્ટલ એરિયા અને હજીરાના ઔદ્યોગિક એકમોને સાવચેત કરાયાસુરતનો કોસ્ટલ વિસ્તાર શહેરના ચાર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે, જે સંવેદનશીલ ગણાય છે.આ વિસ્તારની સુરક્ષા માટે મરીન પોલીસને એલર્ટ કરાઈ છે.તમામ કોસ્ટલ ગામોના સરપંચોને સક્રિય કરી દેવાયા છે. સરપંચોને સૂચના અપાઈ છે કે, ગામમાં કોઈ પણ અસામાન્ય કે શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. સાથે જ, સુરતના વિશાળકાય ઔદ્યોગિક વિસ્તાર હજીરાના તમામ ઉદ્યોગોને પણ હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. ઉદ્યોગોમાં કામ કરતા તમામ કર્મચારીઓની વિગત રાખવા અને તેના દસ્તાવેજો ચકાસવા માટે કડક સૂચના અપાઈ છે. વાહન વ્યવહાર પર પણ નિયંત્રણવાહનોની લે-વેચ કરનારા તમામ વેપારીઓ અને લોકોને પણ પોલીસ કમિશનરે ડોક્યુમેન્ટ્સ ચકાસવા અને યોગ્ય દસ્તાવેજો રાખીને જ વ્યવહાર કરવાની સૂચના આપી છે, જેથી ગુનાહિત પ્રવૃત્તિમાં વાહનોનો ઉપયોગ ન થાય.
સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા ગ્રામ્ય માર્ગોના નવીનીકરણનું કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના બાદ, જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગોના સમારકામ માટે ત્વરિત પગલાં લેવાયા છે. વનાળા, કંથારીયા, છલાળા, જોબાળા અને નાગણેશ ગામોને જોડતા મુખ્ય માર્ગનું અંદાજિત રૂ. 30.34 કરોડના ખર્ચે નવીનીકરણ કરાઈ રહ્યું છે. આ નવીનીકરણ વનાળા-કંથારીયા-છલાળા-જોબાળા-નાગણેશ-રાણપુર રોડના કિલોમીટર 0/0 થી 23/0ના ભાગ પર કરવામાં આવી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા 'રીસરફેસીંગ, સ્ટ્રેધનીંગ, સ્ટ્રકચર એન્ડ વિલેજ પોર્સન સી.સી. રોડ, ફર્નીચર વર્ક' સહિતની કામગીરી હાથ ધરાઈ છે. હાલમાં, કુલ 22 કિલોમીટર જેટલા ભાગમાં મેટલ કામ અને વેટમીક્ષના લેયર દ્વારા સ્ટ્રેધનીંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ ઉપરાંત, 16 કિલોમીટર જેટલા ભાગમાં ડી.બી.એમ. અને અંદાજિત 6 કિલોમીટર જેટલા ભાગમાં બી.સી.ની કામગીરી પણ પૂર્ણ થઈ છે. સ્ટ્રક્ચરની તેમજ રીટેઈનીંગ વોલ બનાવવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. આ નવીનીકરણના પરિણામે, વનાળા, કંથારીયા, છલાળા, જોબાળા અને નાગણેશ સહિત આસપાસના તમામ ગામોના રહેવાસીઓને પરિવહનમાં મોટી સરળતા રહેશે. ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદનોને ઝડપથી બજાર સુધી પહોંચાડી શકશે, જેનાથી તેમનો સમય અને શ્રમ બચશે. શાળાઓ અને અન્ય જરૂરી કામકાજ માટે અવર-જવર કરતાં નાગરિકોને પણ સુગમતા મળશે.
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV) અને એરબસ વચ્ચે દિલ્હીમાં ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુની હાજરીમાં એક સંયુક્ત અભ્યાસ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા આવ્યા છે. ઇન્ડિયા સસ્ટેનેબલ ફ્યુઅલ સમિટ 2025ના ઉદ્ઘાટન દરમિયાન હસ્તાક્ષર કરાયેલ આ કરાર, GSVની સંશોધન ક્ષમતાઓને એરબસના વૈશ્વિક ઉદ્યોગ અનુભવ સાથે જોડતા એક ક્ષેત્ર તરીકે સેવા આપશે. ધ્યેય ભારતના વ્યાપક પરિપત્ર અર્થતંત્રના ઉદ્દેશ્યો સાથે સંરેખિત, મ્યુનિસિપલ ઘન કચરાનો ઉપયોગ કરીને સ્કેલેબલ, સ્થાનિક રીતે ઉત્પાદિત SAF વિકસાવવાનો છે. એરબસ અદ્યતન સંશોધન સાધનો, ભંડોળ અને કર્મચારીઓ પ્રદાન કરશે. કંપની અર્થ રક્ષક ફાઉન્ડેશન સાથે પણ સંકલન કરશે, જે એક સ્થાનિક બિનનફાકારક સંસ્થા છે જે પ્રોજેક્ટ માટે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાંથી કચરો એકત્રિત કરશે અને સપ્લાય કરશે. આ પ્રસંગે પ્રો. મનોજ ચૌધરી (વાઈસ ચાન્સેલર, GSV) અને જુલિયન મેનહેસ (SAF અને CDR, એરબસના વડા) સહીકર્તા હતા. જુર્ગન વેસ્ટરમીયર (પ્રેસિડેન્ટ અને MD એરબસ ઇન્ડિયા અને સાઉથ એશિયા) પણ હાજર હતા. આ અભ્યાસ કરાર ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રને મજબૂત બનાવવા માટે GSV અને એરબસ વચ્ચે ચાલી રહેલી ભાગીદારીને વધુ મજબૂત બનાવે છે. ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV), ભારતની પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રની પ્રથમ યુનિવર્સિટી, ઓગસ્ટ 2022 માં સંસદ દ્વારા પસાર કરાયેલ કેન્દ્રીય યુનિવર્સિટીઓ (સુધારા) અધિનિયમ 2022 દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. રેલ્વે મંત્રાલય (ભારત સરકાર) હેઠળ કાર્યરત, યુનિવર્સિટી રેલ્વે, હાઇવે, બંદરો, ઉડ્ડયન, દરિયાઇ, શિપિંગ, આંતરિક જળમાર્ગો, શહેરી પરિવહન અને સંપૂર્ણ લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન નેટવર્ક સહિત સમગ્ર પરિવહન ક્ષેત્રને આવરી લે છે.
ભાવનગર શહેરના પરા વિસ્તારમાં રહેતી એક મહિલાને તેના પૂર્વ પ્રત્યે જેલમાંથી મોબાઈલ કોલ કરી નાસ્તા માટે રૂ.1,000 ની માંગણી કરી હતી અને રૂપિયા ના આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેલના ફોનમાંથી ફોન કરી પૂર્વ પત્ની પાસે નાસ્તા માટે 1 હજારની માગણી કરીઆ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર શહેરની મિલિટરી સોસાયટી પ્લોટ નંબર 92 માં રહેતા મહિલા તેના પતિ કિરણ સાથે છૂટાછેડા લઈને હાલમાં એક પુત્ર અને પુત્રી સાથે તેના માતા પિતાના ઘરે રહે છે. પૂર્વપતિ કિરણ કોઈ ગુના સંદર્ભે હાલમાં ભાવનગર જિલ્લા જેલમાં બંધ હોય ગઈકાલે કિરણે તેની પૂર્વ પત્નીને કોલ કરી નાસ્તા માટે રૂ.1,000 આપવાની માંગ કરી હતી. પૈસા હોવાનો ઈન્કાર કર્યો તો આંતરડા કાઢી નાખવાની ધમકી આપીપરંતુ મહિલા એ તેની પાસે પૈસા ન હોવાનું જણાવતા કિરણે રીટાને ગાળો દઈ હવે તું મકાન ભાડે કેમ આપે છે તે હું જોઈ લઈશ હવે જેલમાં જેવા તેવા કેસમાં આવવું નથી તને મારી તારા આંતરડા બહાર કાઢીને પછી જ જેલમાં આવું છેતેવી ધમકી આપી હતી આ અંગે રીટા એ તેના પૂર્વ પતિ કિરણ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે 20.38 લાખના દાગીના ભરેલી બેગ શોધી:રીક્ષામાં ભુલાયેલી બેગ કમાન્ડ સેન્ટરે અરજદારને પરત કરી
જામનગરમાં એક રિક્ષામાં ભૂલાઈ ગયેલી રૂ. 20.38 લાખના સોનાના દાગીના ભરેલી બેગ પોલીસે શોધી કાઢી મૂળ માલિકને પરત કરી છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને આ બેગ શોધી કાઢવામાં આવી હતી. ઢીચડા રોડ, જામનગરના રહેવાસી મહાવીરસિંહ જોરૂભા જાડેજા ગત તા. 10-11-2025 ના રોજ સાંજે 5 વાગ્યે લગ્નપ્રસંગમાંથી પરત ફરતી વખતે બસ સ્ટેન્ડથી ઘરે જવા માટે રિક્ષામાં બેઠા હતા. ઘરે પહોંચ્યા બાદ તેમને ખ્યાલ આવ્યો કે રૂ. 20.38 લાખના દાગીના ભરેલો થેલો રિક્ષાની પાછળની સીટમાં ભૂલાઈ ગયો છે. આ અંગે મહાવીરસિંહ જાડેજાએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કર્યો હતો. જામનગર જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની અને ઇન્ચાર્જ ડીવાયએસપી મિત રૂદલાલની સૂચના મુજબ, પીએસઆઈ બી.બી. સિંગલના માર્ગદર્શન હેઠળ એએસઆઈ પરેશભાઈ, હેડ કોન્સ પ્રદીપસિંહ, જેસાભાઈ, રીનાબા, પારુલબા, દિવ્યાબેન અને એન્જિનિયર પ્રિતેશ સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી હતી. ટીમે અલગ-અલગ સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસ્યા હતા. સંતોષી માતાના મંદિર વિસ્તારના કેમેરામાં અરજદાર જે રિક્ષામાં બેઠા હતા તેનો નંબર GJ36U-6431 હોવાનું જણાયું હતું. રિક્ષાચાલકનો આરટીઓ ડેટા તપાસતા માલિક મોરબી જિલ્લાનો હોવાનું સામે આવ્યું હતું. ટેલિફોનિક વાતચીતમાં તેણે 8 મહિના પહેલા પોતાની રિક્ષા જામનગરમાં વેચી દીધી હોવાનું જણાવ્યું હતું. રિક્ષા પર 'LOUK-2' લખેલું હતું અને સીસીટીવી ફૂટેજ મુજબ સાંજે 6 વાગ્યે રિક્ષા રેલવે સ્ટેશન બ્રિજ તરફ ગઈ હતી. પોલીસે તે વિસ્તારમાં જઈ હ્યુમન સોર્સ અને બાતમીના આધારે રિક્ષાચાલકને શોધી કાઢ્યો અને તેની પાસેથી થેલો મેળવી ગણતરીની કલાકોમાં અરજદારને પરત કર્યો હતો. બેગમાં 7 સોનાની વીંટી, 1 મંગળસૂત્ર, ચેન, પેડલ, 4 બંગડી, બે જોડી બુટ્ટી, કાનની શેરુ, નાકની 4 ચૂંક અને રોકડા રૂ. 2500 સહિત કુલ રૂ. 20.38 લાખના દાગીના હતા.
દિલ્હી કાર બ્લાસ્ટ બાદ ગુજરાત હાઇ એલર્ટ દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે, જેને પગલે પોલીસ હવે એક્શનમાં આવી ગઈ છે. આજે દ્વારકા-અંબાજી અને શામળાજી મંદિર સહિત મેટ્રો સિટીસમાં કડક ચેકિંગ ચાલી રહ્યું છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આતંકીઓએ અમદાવાદમાં રેકી કરી હતી ગુજરાત ATSએ ઝડપેલા 3 આતંકવાદીની પૂછપરછમાં મોટા ઘટસ્ફોટ થયા છે. આતંકવાદીઓએ અમદાવાદના નરોડામાં ફ્રૂટ્સ માર્કેટ આજુબાજુના વિસ્તારની રેકી કરી હતી. આ ઉપરાંત મુખ્ય ટાર્ગેટ લખનઉનું RSS મુખ્ય કાર્યાલય હતું, એની પણ રેકી કરવામાં આવી હતી. તેમણે દિલ્હીના આઝાદ મેદાન આજુબાજુના વિસ્તારોની પણ રેકી કરી એના ફોટા અને વીડિયો પણ કેપ્ચર કર્યા હતા. આ અંગે હાલ ATSની ટીમ તપાસ કરી રહી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો SMC અને બિશ્નોઇ ગેંગ વચ્ચે ફાયરિંગ નવસારીના બીલીમોરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)ની ટીમ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. હથિયારની આપ-લે કરવા માટે આરોપીઓ હોટલમાં રોકાયા હોવાની માહિતી મળતાં SMC પહોંચી હતી. જ્યાં હાજર બે આરોપીને ઝડપીને પૂછપરછ કરતાં અન્ય બે આરોપીએ મિની સોમનાથ મંદિરે હોવાનું જાણવા મળતાં SMCની ટીમ મંદિરે પહોંચી હતી, જ્યાં હાજર આરોપીઓએ ગોળીબાર કરતાં પોલીસે પણ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં એક આરોપીને પગમાં ગોળી વાગતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આજથી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકાયું ગુજરાતમાં ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં વરસેલા અતિભારે વરસાદમાં જૂનાગઢ, વાવ-થરાદ, કચ્છ, પંચમહાલ અને પાટણ જિલ્લાના ખેતી પાકોમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું હતું. આ નુકસાનમાં ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરીને કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા રૂ. 947 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. ખેડૂતો આ કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય મેળવવા અરજી કરી શકે તે માટે આજ તા. 11 નવેમ્બરથી આગામી 15 દિવસ સુધી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો વિધાનસભા અધ્યક્ષે પાક નુકસાની સહાયની માહિતી આપી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદના લોરવાડા ગામમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે પૂરથી અસરગ્રસ્ત ખેડૂતોને ખેતીના નુકસાનની સહાય માટેના ફોર્મ આજથી ભરાશે. આ ફોર્મ ખેડૂતોના પોતાના ગામમાં જ ગ્રામ પંચાયત અને વીસી (વિલેજ કમ્પ્યુટર ઓપરેટર) દ્વારા ઓનલાઈન ભરવામાં આવશે. સહાયની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી આજથી શરૂ થઈને આગામી 15 દિવસ સુધી ચાલશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો BCAમાં કોમ્પ્યુટરની પરીક્ષા પ્રેક્ટિકલમાં લેવાનું શરૂ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દિવાળી વેકેશન બાદ આજથી (11 નવેમ્બર) સ્નાતક કક્ષાના સેમેસ્ટર-5 અને અનુસ્નાતકના સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં 115 કેન્દ્રો પરથી UG સેમ.5 અને PG સેમ.3ના 50,228 વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે, ત્યારે આ પરીક્ષામાં દિવ્ય ભાસ્કર ઇમ્પેક્ટ સ્વરૂપે BCAમાં પ્રેક્ટિકલ વિષયની પરીક્ષા થીયરીમાં લેવાતી હતી તે રદ થઈ ચૂકી છે. પ્રેક્ટીકલ વિષયનું પેપર પ્રેક્ટીકલમાં જ લેવાની શરૂઆત થઈ ચૂકી છે, જેનાથી વિદ્યાર્થીઓને મોટો ફાયદો થયો છે. આજથી શરૂ થયેલી આ પરીક્ષા દરમિયાન 89 ઓબ્ઝર્વર સતત નિગરાની રાખશે. આ સાથે જ પરીક્ષા કેન્દ્રો ઉપર રાખવામાં આવેલા CCTV કેમેરાના મોનિટરિંગ થકી ગેરરીતિ અટકાવવામાં આવશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુરભી ડેરીમાંથી 955 કિલો નકલી પનીર ઝડપાયું સુરતની જાણીતી 'સુરભિ ડેરી'ના બે યુનિટ પર દરોડા પાડી એસઓજીએ કુલ 955 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જંગી જથ્થો જપ્ત કર્યો છે, જ્યારે આ ડેરી રોજેરોજ 200 કિલો નકલી પનીર બજારમાં મોકલતી હતી. સૌથી ગંભીર બાબત એ છે કે ડેરીના સંચાલકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ કબૂલી લીધું હતું કે આ પનીર નકલી છે. આ ડેરી રોજેરોજ આશરે 200 કિલો નકલી પનીર સુરતના બજારમાં ઠાલવી રહી હતી, જે અસલી પનીરના ભાવ કરતાં અડધી કિંમતે 250થી 270 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતું હતું, જેમાં નકલી પનીર બનાવવા ગ્લેશિયલ એસેટિક એસિડનો ઉપયોગ કરતા. આ એસિડનો ઉપયોગ દૂધને ફાડીને ઝડપથી પનીર બનાવવા માટે થતો હોવાની આશંકા છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાનકારક છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 150 કિલોના મહાકાય મગરને ક્રેનથી બહાર કાઢ્યો વડોદરા પાસે મારેઠા ગામમાં નદીની બાજુમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરીના સ્થળે મહાકાય મગર આવી જતાં ફફડાટ ફેલાયો હતો. પિલરની ચાલી રહેલી કામગીરીના સ્થળે 9.5 ફૂટનો મહાકાય મગર આવી જતાં જીવદયાપ્રેમી હેમંત વઢવાણાની ટીમ અને વન વિભાગે મળીને રેસ્ક્યૂ કર્યો હતો. આ કામગીરીમાં 30 કિલોના મહાકાય મગરને બહાર કાઢવો મુશ્કેલ હોવાથી ક્રેનની મદદથી એને 30 ફૂટ ઊંડા ખાડામાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો અને ફરી વિશ્વામિત્રી નદીમાં છોડી દેવામાં આવ્યો હતો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સિંહ-સિંહણ વચ્ચે વર્ચસ્વની લડાઈ જામી ગીર રાષ્ટ્રીય ઉદ્યાનના કમલેશ્વર ડેમ વિસ્તારમાં સિંહોના બે ગ્રુપ વચ્ચે વર્ચસ્વની લડાઈ થતાં જંગલમાં ભય અને ઉત્તેજનાનો માહોલ સર્જાયો હતો. એક ગ્રુપના નરસિંહે અન્ય વિસ્તારમાંથી આવી ચડેલી સિંહણને ભગાડવા માટે તેના પર હુમલો કરતાં આખું જંગલ સિંહ-સિંહણની પ્રચંડ ત્રાડોથી ગુંજી ઉઠ્યું હતું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રાજ્યમાં ઠંડીનો પારો 20 ડિગ્રી નીચે આ શિયાળાની સિઝનમાં દાહોદ માટે સૌથી ઠંડી રાત રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તાપમાન મુજબ, 12.2 ડિગ્રી તાપમાન સાથે દાહોદ શહેર સૌથી ઠંડું રહ્યું છે. તો નલિયામાં પણ લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ સાથે ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો છે. જ્યારે અમરેલીમાં 14 ડિગ્રી સેલ્સિયસ મિનિમન તાપમાન નોંધાયું છે. હાલ તમામ શહેરોમાં તાપમાનનો પારો ગગડીને 20 ડિગ્રી નીચે જતો રહ્યો છે. આગામી દિવસોમાં હજી પણ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ બાદ દેશભરમાં પોલીસ એલર્ટ પર છે. તેના પગલે વલસાડ જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. જિલ્લા પોલીસ અને મરીન ટાસ્ક ફોર્સ દ્વારા 70 કિલોમીટર લાંબા દરિયાકાંઠાના પટ્ટા પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાના 24 જેટલા લેન્ડિંગ પોઈન્ટ પર બોટનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, જિલ્લાની તમામ મુખ્ય ચેકપોસ્ટ અને આંતરરાજ્ય સરહદો પર પણ પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મરીન ટાસ્ક ફોર્સની ટીમો લેન્ડિંગ પોઈન્ટ પર બાજ નજર રાખી રહી છે. મરીન કમાન્ડો દ્વારા 70 કિલોમીટર લાંબા દરિયાકિનારા પર પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે, જેમાં દરિયામાંથી આવતી બોટોનું સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. સુરક્ષાના ભાગરૂપે માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તેમને દરિયામાં કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ કે હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. મધદરિયે ચાલતી શંકાસ્પદ ગતિવિધિઓ અંગે પણ માછીમારો પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે. દિલ્હીમાં બનેલી બોમ્બ બ્લાસ્ટની ઘટનાના બીજા જ દિવસે દરિયાઈ સુરક્ષાને લઈને આ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આંતરરાજ્ય સરહદો પરના ચેકિંગ બાદ હવે દરિયાકિનારા પર પણ પોલીસ દ્વારા સુરક્ષા કડક કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલી શ્રી કળમ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષિકા જૈમીનીબેન પટેલ શિક્ષણની સાથે પર્યાવરણ સંરક્ષણનું કાર્ય કરી રહ્યા છે. તેઓ શાળા અને ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી આ શાળામાં ફરજ બજાવતા જૈમીનીબેને પર્યાવરણ સુરક્ષાને પોતાના જીવનનું મુખ્ય મિશન બનાવ્યું છે. આ અભિયાન અંતર્ગત, તેમણે ગામમાં રેલીઓ કાઢી હતી, જેમાં બાળકોને પણ સામેલ કર્યા હતા. આ રેલીઓ દ્વારા તેમણે ગામલોકોને પ્લાસ્ટિકની થેલીઓ અને અન્ય પ્લાસ્ટિકના ઉપયોગના ગેરફાયદા વિશે સમજ આપી હતી. જૈમીનીબેને માત્ર સમસ્યા અંગે જાગૃત કર્યા નથી, પરંતુ તેનો વ્યવહારુ ઉકેલ પણ પૂરો પાડ્યો છે. તેમણે પોતે કાપડમાંથી થેલીઓ બનાવી અને તેનું ગામમાં ઘરે-ઘરે નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. આ પગલું ગામલોકોને પ્લાસ્ટિકનો વિકલ્પ સરળતાથી અપનાવવા પ્રોત્સાહન પૂરું પાડે છે. તેમની પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા માત્ર પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા સુધી સીમિત નથી. તેઓ પ્લાસ્ટિકના કચરાનો પણ સદુપયોગ કરે છે. તેમણે એક નવતર પ્રયોગ કર્યો, જેમાં ફેંકી દેવાયેલા પ્લાસ્ટિકમાંથી સુંદર અને મજબૂત કુંડા બનાવ્યાં છે. શિક્ષણની સાથે, જૈમીનીબેન વિદ્યાર્થીનીઓને જીવન કૌશલ્યો શીખવીને તેમના સર્વાંગી વિકાસ અને આત્મનિર્ભરતાનું સિંચન પણ કરે છે. જૈમીનીબેન પોતાના પ્રયાસ વિશે કહે છે કે, આ પ્લાસ્ટિક જે વેસ્ટેજ છે, તેમાંથી સરસ મજાના કુંડા બનાવી અને પર્યાવરણ સારું અને શુદ્ધ બને, તેના માટે સચોટ પ્રયાસ કર્યા છે અને સારા એવા કુંડા બનાવી અને એમાં છોડનું નિરૂપણ પણ કર્યું છે. આ કુંડાઓમાં છોડનું વાવેતર કરીને તેમણે માત્ર કચરાના વ્યવસ્થાપનનો જ નહીં, પણ પર્યાવરણને હરિયાળું અને શુદ્ધ બનાવવાનો પ્રયાસ કર્યો છે. જો કચરાને પણ સર્જનાત્મક રીતે 'વેલ્થ'માં પરિવર્તિત કરવામાં આવે તો, પર્યાવરણને નુકસાન પહોંચાડતી વસ્તુઓનો પણ સકારાત્મક ઉપયોગ શક્ય છે. આ પ્રવૃત્તિ શાળાના વિદ્યાર્થીઓ અને ગામલોકોને 'રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ'ના સિદ્ધાંતનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. શૈક્ષણિક કાર્યમાં પણ જૈમીનીબેનનું સમર્પણ એટલું જ પ્રેરણાદાયી છે. શિક્ષિકા તરીકેની તેમની ભૂમિકા માત્ર અભ્યાસક્રમ પૂરતી સીમિત નથી, પરંતુ તેઓ વિદ્યાર્થિનીઓના વ્યવહારુ અને સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂકે છે. પોતાના કાર્ય પ્રત્યેની તેમની નિષ્ઠા અને શિસ્તની વાત કરીએ તો, તે અન્ય શિક્ષકો માટે પણ એક પ્રેરણા છે. તેઓ છેલ્લા 15 વર્ષથી નિયમિતપણે સવારે વહેલા શાળા ખોલી નાખે છે. સૌથી નોંધનીય બાબત એ છે કે, તેઓ શાળાની સફાઈ માટે કોઈની રાહ જોતા નથી, પરંતુ શાળાની સફાઈ પણ જાતે જ કરે છે. આ તેમનો શિસ્ત, સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને કાર્ય પ્રત્યેનું સમર્પણ દર્શાવે છે, જે વિદ્યાર્થીઓમાં પણ સ્વચ્છતા અને કર્તવ્યનિષ્ઠાના ગુણોનું સિંચન કરે છે. જૈમીનીબેન પટેલ વિદ્યાર્થિનીઓને માત્ર પુસ્તકિયું જ્ઞાન આપવાને બદલે, તેમને આત્મનિર્ભર બનાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમની વિદ્યાર્થિનીઓ ભણી-ગણીને જ્યારે સાસરે જાય, ત્યારે તેઓ જીવનના દરેક મોરચે સક્ષમ અને ઉપયોગી બને તે હેતુસર તેમને ભરત ગુંથણ, સાબુ શેમ્પુ, સિવણની પણ તાલીમ આપે છે. આ પ્રવૃત્તિઓ વિદ્યાર્થિનીઓને ભવિષ્યમાં આર્થિક રીતે સક્ષમ બનવા અને રોજિંદા જીવનમાં વ્યવહારુ જ્ઞાનનો ઉપયોગ કરવા માટે તૈયાર કરે છે. જૈમીનીબેન સાબિત કરે છે કે, સાચું શિક્ષણ એ છે જે વ્યક્તિને જીવન જીવવા માટેના કૌશલ્યો પ્રદાન કરે. જૈમીનીબેન માધવલાલ પટેલ માત્ર એક મદદનીશ શિક્ષિકા નથી, પરંતુ તેઓ પર્યાવરણ સંરક્ષક અને સમાજસેવિકા પણ છે. તેમનું કાર્ય માત્ર શ્રી કળમ પ્રાથમિક શાળાના પ્રાંગણ પૂરતું સીમિત નથી, પરંતુ તે સમગ્ર સમાજ માટે એક દિશાસૂચક છે. નાના પાયે શરૂ થયેલું કાર્ય પણ જો દ્રઢ નિશ્ચય અને સમર્પણ સાથે કરવામાં આવે તો મોટું પરિવર્તન લાવી શકે છે. ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવું હોય, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું હોય કે વિદ્યાર્થિનીઓને જીવન કૌશલ્યો શીખવવા હોય જૈમીનીબેને દરેક મોરચે સફળતા મેળવી છે. તેમનું લક્ષ્ય આ પર્યાવરણીય અને સામાજિક કાર્યને ભવિષ્યમાં પણ સફળતાપૂર્વક આગળ વધારવાનું છે. આમ, જૈમીનીબેન પટેલનું જીવન અને કાર્ય એવા દરેક વ્યક્તિ માટે એક પ્રેરણાસ્રોત છે. પરિવર્તન લાવવા માટે મોટા સંસાધનોની નહીં, પરંતુ નિષ્ઠા, સમર્પણ અને સકારાત્મક અભિગમની જરૂર હોય છે. તેઓ આવનારી પેઢીને માત્ર ભણાવતા જ નથી, પણ તેમને જીવનમૂલ્યો, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને આત્મનિર્ભરતાનું શિક્ષણ પણ આપે છે.
ડાંગમાં IG પ્રેમવીર સિંહનું વાર્ષિક નિરીક્ષણ:મોકડ્રિલ અને લોકસંવાદ યોજાયા, સુરક્ષાની સમીક્ષા
ડાંગ જિલ્લામાં સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહે વાર્ષિક નિરીક્ષણ અને લોક દરબારનું આયોજન કર્યું હતું. જિલ્લા પોલીસ લાઇન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ તંત્રની કામગીરીનું નિરીક્ષણ કરી વિવિધ સુરક્ષા મુદ્દાઓ પર માર્ગદર્શન અપાયું હતું. નિરીક્ષણ દરમિયાન ડાંગના મુખ્ય પર્યટન સ્થળ સાપુતારા માટે વિશેષ મોકડ્રિલ યોજાઈ હતી. આ અભ્યાસમાં પ્રવાસી બસમાં બે આતંકવાદીઓ છુપાયા હોવાની કાલ્પનિક પરિસ્થિતિ ઊભી કરાઈ હતી. પોલીસ દળે ઝડપી કાર્યવાહી કરી આતંકવાદીઓને કાબૂમાં લીધા હતા, જે દર્શાવે છે કે સુરક્ષા તંત્ર આકસ્મિક પરિસ્થિતિમાં કેવી રીતે પ્રતિસાદ આપે છે. આ મોકડ્રિલનો હેતુ અચાનક બનતી ઘટનાઓનો સામનો કરવા તંત્રની તૈયારીઓનું મૂલ્યાંકન કરવાનો હતો. આ ઉપરાંત, ડેમ બચાવો આંદોલન જેવી સંવેદનશીલ પરિસ્થિતિને અનુરૂપ બીજો મોકડ્રિલ પણ યોજાયો હતો. તેમાં આંદોલનકારીઓના વિરોધ પ્રદર્શનને નિયંત્રિત કરવા અને શાંતિ જાળવવા માટેની પોલીસની કાર્યવાહીનું પ્રદર્શન કરાયું હતું. નિરીક્ષણ બાદ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહે પોલીસ અધિકારીઓ અને જવાનોને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે ડાંગ જિલ્લો પ્રવાસન સાથે પ્રાકૃતિક રીતે પણ સંવેદનશીલ વિસ્તાર છે, તેથી પોલીસ દળે હંમેશાં સતર્ક રહેવું જોઈએ. કાર્યક્રમના અંતે લોકસંવાદ બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના નાગરિકો, આગેવાનો, વેપારીઓ અને સમાજના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. નાગરિકોએ ટ્રાફિક, સુરક્ષા અને અન્ય જાહેર સુવિધાઓ સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા હતા. મહાનિરીક્ષકે તમામ પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળી યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી. આમ, ડાંગ જિલ્લામાં યોજાયેલ પોલીસ મહાનિરીક્ષકનો આ લોક દરબાર કાયદો-વ્યવસ્થા જાળવવા અને નાગરિકો સાથેના જોડાણને મજબૂત બનાવવાનો એક સકારાત્મક પ્રયાસ સાબિત થયો.
રાજકોટના હીરાસર એરપોર્ટ પર ભારતીય વાયુસેનાની મોકડ્રિલ શરૂ થઈ ચૂકી છે. આ માટે ગત સાંજથી જ એરફોર્સના જવાનો અને ટેકનિકલ ટીમો હીરાસર એરપોર્ટ પર પહોંચી ગઈ હતી. NOTAM (Notice to Airmen)અનુસાર, હીરાસર એરપોર્ટ પર લડાકુ વિમાનોની કવાયત શરૂ થઈ ચૂકી છે. જે રાતભર ચાલશે. કોસ્ટલ એરિયા નજીક આ એરપોર્ટ હોવાથી ઇમરજન્સી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મોકડ્રિલ કરવામાં આવી રહી છે. આ દરમ્યાન રાજકોટ એરપોર્ટ તથા આસપાસના હવાઈ રૂટ પર એરફોર્સના વિમાનોની સતત અવરજવર છે. મળતી માહિતી મુજબ, કવાયત દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ અધિકારીઓ અને એરફોર્સના સંયુક્ત દળ દ્વારા જરૂરી વ્યવસ્થા ગોઠવાઈ છે. સામાન્ય મુસાફરી સેવાઓ પર કોઈ અસર ન થાય તે માટે તંત્રને આગોતરી જાણ કરવામાં આવી છે. આજે વહેલી સવારે 6 વાગ્યાથી એરફોર્સના લડાકુ વિમાનોની મોકડ્રિલ શરૂ થઈ ચૂકી છે. જેમાં કચ્છનો દરિયા કિનારો સેન્સેટિવ છે ત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક થતું હોવાથી ઇમરજન્સી વખતે ખૂબ જ ઉપયોગી થાય છે જેને ધ્યાનમાં રાખીને એરફોર્સ દ્વારા આ મોકડ્રિલ કરવામાં આવી છે. જે માટે એરપોર્ટ નજીક ટેન્ટ લગાવવામાં આવ્યા છે. જામનગર અને ભુજ એરફોર્સનું વડું મથક છે અને રાજકોટ એરપોર્ટ નજીક હોય અનેક વખત અહીં મોકડ્રિલ થાય છે ત્યારે આ વખતે ભારતીય વાયુસેનાની 2 બટાલિયન આવી છે. આજે સવારે 6 વાગ્યાથી શરૂ થયેલી મોકડ્રિલ રાતભર ચાલશે. જેમાં વાયુ સેનાના જવાનો લડાકુ વિમાનો સાથે હેરતઅંગેજ મોકડ્રિલ કરશે. જેમાં રાજકોટ એરપોર્ટ પર ટચ એન્ડ ગો, રન વે પરીક્ષણ, ફિઝિબિલિટી સહિતની કવાયત ફાઈટર પ્લેન દ્વારા કરવામાં આવી હતી.
ભાવનગર જિલ્લામાં ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતી અંતર્ગત આગામી 13 નવેમ્બરના રોજ ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. ભાવનગરમાં જિલ્લાકક્ષાના કાર્યક્રમ સુચારુ રીતે યોજાય જેના અનુસંધાને ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં અધિક કલેક્ટર, જિલ્લા વિકાસ એજન્સી નિયામક, આરોગ્ય અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બિરસા મુંડા જયંતીના આયોજન માટે સમીક્ષા બેઠક યોજાઈઆ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ આ કાર્યક્રમને સાથે યોજાનાર આરોગ્ય કેમ્પ, સેવાસેતુ, ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિશે સંલગ્ન વિભાગો વિશે ચર્ચા કરી હતી અને સ્ટોલ્સના માધ્યમથી વિવિધ નાગરિકલક્ષી યોજનાઓની માહિતી મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. જનજાતિય ગૌરવ રથયાત્રાના પૂર્વે શાળાઓમાં ભગવાન બિરસા મુંડાજીના જીવન ચરિત્ર વિષય પર વિવિધ ચિત્ર, વકૃત્વ, નિબંધ સ્પર્ધાઓ અને રમતોનું પણ આયોજન કરવામાં આવશે તેમજ પ્રતિભાવાન વ્યક્તિઓ અને ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવશે. વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાઆ બેઠકમાં અધિક કલેક્ટર એન.ડી.ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, ઇન્ચાર્જ મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ અધિકાર કાજલબેન ચાવડા, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ચંદ્રમણી કુમાર, નાયબ પોલીસ અધિક્ષક રીમા ઝાલા સહિત સબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓમાં આક્રોશ ખૂબ વધી રહ્યો છે. સામાન્ય બાબતમાં વિદ્યાર્થીઓમાં મારામારીના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે વધુ આક્રોશમાં આવીને વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીની હત્યા કરવા સુધીનું પગલું ભરી રહ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓમાં વધતા જતા આક્રોશને ઘટાડવા માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અનોખો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં બિલિયન મિનિટસ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. શહેરની 1800 શાળાઓમાં 5 લાખથી વધુ વિદ્યાર્થીઓનું મેડિટેશન શરૂ કરવામાં આવ્યું છે. શાંત કઈ રીતે રહેવું તે શીખવવામાં આવશેઅત્યારના સમયમાં શાળાઓના વિદ્યાર્થીઓ સામાન્ય બાબતમાં ખૂબ ઉગ્ર થઈ જતા હોય છે. છેલ્લા કેટલાક દિવસમાં શાળાઓમાં પણ મારામારી, ઝઘડા સહિતની ઘટનાઓ પણ સામે આવી હતી. નાની નાની બાબતે વિદ્યાર્થીઓ આક્રોશમાં શું પગલું ભરી દેતા હોય છે તે તેમને વિચાર્યું પણ હોતું નથી. જેમ કે થોડા સમય પહેલા સેવન્થ ડે સ્કૂલમાં પણ સામાન્ય બાબતમાં એક વિદ્યાર્થીએ આક્રોશમાં આવી અન્ય વિદ્યાર્થીની હત્યા કરી દીધી હતી. જેથી શહેરની તમામ શાળાઓમાં 5 લાખ જેટલા વિદ્યાર્થીઓને મેડિટેશન કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓ કોઈ સાથે બદલાની ભાવના ના રાખે અને ગુસ્સો શાંત કંઈ રીતે કરી શકાય તે શીખવવામાં આવશે. બ્રહ્માકુમારી દ્વારા બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ શરૂ કરાયોઅમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરની 1800 થી વધુ શાળામાં 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા બિલિયન મિનિટસ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. અત્યારે જે રીતે વિદ્યાર્થીઓમાં આક્રોશ અને ઝઘડા જોવા મળે છે તેને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓનો સ્વભાવ શાંત રહે તે માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ મોબાઈલના વધુ પડતા ઉપયોગથી અને વિદ્યાર્થીઓ વ્યસનથી દૂર રહે તેવો પ્રયાસ છે. દરરોજ શાળામાં ઓછામાં ઓછી 10 મિનિટ સુધી મેડિટેશન કરાવવામાં આવે તેવી સંકલ્પ કરવામાં આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓમાં જે પ્રકારે ગુસ્સો વધી રહ્યો છે તે શાંત થઈ શકે અને અંકુશ લાવી શકાય. શાળામાં ઓછામાં ઓછી 10 મિનિટ મેડિટેશન કરાવાશેવધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, આવતીકાલથી તમામ શાળાઓમાં ઓછામાં ઓછું 10 મિનિટ સુધી મેડિટેશન શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓના હિત માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. સેવન્થ ડેમાં વિદ્યાર્થીઓ વચ્ચે જે પ્રકારની ઘટના બની તે સૌએ જોઈ છે. શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ વચ્ચે નાની નાની બાબતે ઝગડા જોવા મળતા હોય છે. તેમજ નાની નાની ઘટનાઓ ઘણી વખત બહુ મોટું સ્વરૂપ લઈ લે છે. જેથી બાળકોને આ બધામાંથી બહાર નીકળવા ખૂબ જરૂરી છે. નાની બાબતે વિદ્યાર્થીઓ ગુસ્સે ના થાય બદલાવની ભાવના ના રાખે અને પ્રેમ, સ્નેહ સાથે રહે તે માટેના આ પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. જેથી ભાવિ નાગરિક એવા વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
ચોમાસાની વિદાય બાદ અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં પડેલા કમોસમી વરસાદે નર્મદા જિલ્લાના ખેડૂતોને મોટો ફટકો આપ્યો છે. આ અણધાર્યા વરસાદને કારણે કપાસ, તુવેર, ડાંગર, મકાઈ અને જુવાર જેવા તૈયાર પાકોને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. જિલ્લામાં ખેતીવાડી શાખા દ્વારા વ્યાપક નુકસાનનો સર્વેકમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનની ગંભીરતાને જોતા જિલ્લામાં ખેતીવાડી શાખા દ્વારા ત્વરિત સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં સામે આવ્યું કે, નર્મદા જિલ્લામાં 62 હજાર હેક્ટરથી વધુ જમીન પરના વાવેતરને નુકસાન થયું છે. ખેતીવાડી અધિકારી વિનોદ પટેલે જણાવ્યું હતું કે, કપાસ, તુવેર, ડાંગર, મકાઈ અને જુવાર જેવા મુખ્ય પાકોને વ્યાપક નુકસાન થયું છે. આ મોટા નુકસાન બાદ સત્તા પક્ષ અને વિપક્ષ બંને દ્વારા રાજ્ય સરકાર સમક્ષ ખેડૂતો માટે સહાય પેકેજની માંગણી કરવામાં આવી હતી. જેના પરિણામે, રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કુલ રૂ.10 હજાર કરોડનું પેકેજ જાહેર કરવામાં આવતા ખેડૂતોને મોટી રાહત મળી હતી. નર્મદા જિલ્લાના ખેડૂતો માટે અંદાજિત રૂ.1364 કરોડની સહાય જાહેર થવાની શક્યતાનર્મદા જિલ્લા ખેતીવાડી શાખાએ સર્વેનો વિસ્તૃત અહેવાલ સરકારને મોકલી આપ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ નુકસાનના અહેવાલના આધારે નર્મદા જિલ્લાના ખેડૂતો માટે અંદાજિત રૂ.1364 કરોડની સહાય જાહેર થવાની શક્યતા છે. ખેતીવાડી અધિકારી વિનોદ પટેલે જણાવ્યું હતું કે, અમે નુકસાનનો અહેવાલ સરકારને મોકલેલ છે. હજુ સહાયની રકમ આવી નથી. સરકાર દ્વારા મંજૂર થતાં જ તે ખેડૂતોને ચૂકવવામાં આવશે. જોકે આ રકમ નુકસાનીનું પૂરેપૂરું વળતર ન હોય છતાં તે ખેડૂતોની આર્થિક ચિંતા ટાળવામાં ચોક્કસ મદદરૂપ થશે અને તેમને આર્થિક લાભ પ્રદાન કરશે.
રાણાવાવ પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ચાર ખોવાયેલા મોબાઇલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. આ મોબાઈલ ફોનની કુલ કિંમત રૂ. ૭૩,૮૪૫/- છે. CEIR પોર્ટલની મદદથી આ મોબાઈલ શોધી શકાયા હતા, જે પોલીસની તકનીકી કુશળતા દર્શાવે છે. પરત કરાયેલા મોબાઈલમાં મનુભાઈ કનુભાઈ ઝાલાનો LAVA BI 3 (રૂ. ૧૨,૦૦૦), હમીર વેજાણદભાઈ રાણાવાયાના Realme 8 Pro અને VIVO Y200 Pro (રૂ. ૧૫,૮૪૬), હરેશ કેશવલાલ જોશીનો OPPO Reno 8 5G (રૂ. ૨૯,૯૯૯) અને વિક્રમ સરમણભાઈ ભાટ્ટીનો VIVO Y28s (રૂ. ૧૬,૦૦૦)નો સમાવેશ થાય છે. આ રીતે કુલ રૂ. ૭૩,૮૪૫/-નો મુદ્દામાલ માલિકોને પરત મળ્યો છે. આ કામગીરી રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. તળાવીયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.વી. મોરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.જે. દાસા, પોલીસ કોન્સ્ટેબલ સંજય વાલાભાઈ, સરમણ દેવાયતભાઈ, જયમલ સામતભાઈ, કૃણાલસિંહ પ્રવિણસિંહ અને ભરત કાનાભાઈએ આ કાર્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની ટીમવર્ક અને તકનીકી સમજણથી ગુમ થયેલા મોબાઈલ માલિકોને પરત આપી શકાયા. આ પ્રકારની કામગીરીથી રાણાવાવ પોલીસ પ્રત્યે જનતાનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ આવી કામગીરીઓ સતત હાથ ધરાઈ રહી છે, જે CEIR પોર્ટલની અસરકારકતા પણ દર્શાવે છે.
ચોમાસા અને શિયાળાની ડબલ ઋતુના કારણે તાવ, શરદી ઉધરસ, મેલેરીયા સહિતના કેસોમાં વધારો થયો છે ખાસ કરીને પાણીજન્ય રોગોના કેસોમાં ઝાડા ઉલટી અને ટાઈફોઈડના કેસોમાં પણ વધારો થયો છે. નવેમ્બર મહિનામાં 9 દિવસમાં શહેરમાં મેલેરિયાના 25 અને ઝેરી મેલેરિયાના 6 કેસ નોંધાયા છે. જોકે ચિકનગુનિયા અને કોલેરાના કેસ ના નોંધાતા તંત્રને રાહત થઈ છે. શહેરમાં કોલેરાના 103 કેસ નોંધાયામ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, નવેમ્બર માસમાં શહેરમાં પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલ્ટીના 83 કેસ અને ટાઈફોઈડના પણ 55 કેસ નોંધાયા છે. શહેરમાં કોલેરાનો એક પણ કેસ નોંધાયો ન હોવાનું જાણવા મળે છે. જોકે, ચાલુ વર્ષ દરમિયાન શહેરમાં કોલેરાના 103 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત પાણીજન્ય રોગચાળાના કેસો સામે આવતા કોર્પોરેશન દ્વારા 1081 પાણીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 2 સેમ્પલ અનફીટ જાહેર થયા છે. નવ દિવસમાં શહેરમાં મેલેરિયાના 25 અને ઝેરી મેલેરીયાના 6 કેસપાણીજન્ય રોગચાળા સાથે મચ્છરજન્ય રોગચાળામાં મેલેરિયા અને ઝેરી મેલેરિયાના કેસો જોવા મળ્યા છે. શહેરમાં વિવિધ કન્સ્ટ્રકશન્સ સાઇટ પર તપાસ કરવામાં આવી છે. નવેમ્બર મહિનાના નવ દિવસમાં શહેરમાં મેલેરિયાના 25 અને ઝેરી મેલેરીયાના કેસ 6 સામે આવ્યા છે. જ્યારે ડેન્ગ્યુના 19 કેસ સામે આવ્યા છે. આ સાથે શહેરમાં ચાલુ વર્ષમાં ડેન્ગ્યૂના કેસોની સંખ્યા 1459 પર પહોંચી ગઈ છે. જ્યારે ચીકનગુનિયાનો એક પણ કેસ સત્તાવાર રીતે નોંધાયો નથી. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા નવેમ્બર માસમાં 1073 સીરમ સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા હતા. નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં 17852 કરતા વધુ લોહીના નમુના લઈ તપાસ કરવામાં આવી છે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક ગુજરાત પ્રવાસે આવ્યા છે. આગામી ત્રણ દિવસ સુધી મુકુલ વાસનીક અલગ અલગ જિલ્લાઓમાં બેઠક કરશે અને 13મીએ ખેડૂત આક્રોશ યાત્રાના સામાનમાં હાજરી આપશે. આજે રાજીવ ગાંધી ભવન પર જિલ્લા અને તાલુકાના અધ્યક્ષ સાથે મુકુલ વાસનીકે બેઠક કરી છે. જિલ્લા અને તાલુકાની વર્તમાન પરિસ્થિતિ અને સંગઠનને મજબૂત કરવાને લઈને ચર્ચા કરવામાં આવી છે. તેમજ કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમ અને NSUI ટીમ સાથે પણ મુકુલ વાસનીકે બેઠક કરી છે. રાજીવ ગાંધી ભવન પર જિલ્લા અને તાલુકાના અધ્યક્ષ સાથે બેઠકગુજરાતમાં SIRની કામગીરી અત્યારે ચાલી રહી છે. તેને લઈને જિલ્લા અને તાલુકાના અધ્યક્ષને માહિતી આપવામાં આવી છે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કેવા કાર્યક્રમો જિલ્લા અને તાલુકા સ્તરે કરી શકાય તેને લઈને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. SIRની કામગીરીમાં કોઈ ગોટાળા ના થાય તે માટે ધ્યાન રાખવા જિલ્લા અને તાલુકાઓની ટીમને જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણી આયોગે કામ કરવાની પદ્ધતિમાં બદલાવ લાવવો જોઈએ તેવી પણ કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી છે. 13મીએ સમાપન કાર્યક્રમમાં મુકુલ વાસનીક હાજરી આપશેગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીકે જણાવ્યું હતું કે, કેટલાક દિવસમાં ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતોને જે પ્રમાણે પાકનું નુકસાન ગયું છે તે જોતા કોંગ્રેસે સોમનાથથી લઈને દ્વારકા સુધી યાત્રાનું આયોજન કર્યું. 13 મીએ તેના સમાપનમાં પણ હાજર રહીશ. પ્રદેશ કોંગ્રેસના તમામ નેતાઓ સમય પ્રમાણે યાત્રામાં હાજરી આપી રહ્યા છે. આજે જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષોની બેઠક મળી રહી છે. વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે અને આગામી દિવસોમાં કેવા કાર્યક્રમનું આયોજન કરવાનું છે તેના પર નિર્ણય લેવામાં આવશે. તાલુકા અને જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષોને પણ SIRની માહિતી અપાશેવધુમાં મુકુલ વાસનીકે જણાવ્યું હતું કે, SIR ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં શરૂ કરવામાં આવી છે. SIRની બિહારમાં કેવા પ્રકારની સ્થિતિ રહી, બંગાળમાં કેવા પ્રકારની મુશ્કેલીઓનો લોકોને સામનો કરવો પડ્યો તે તમામે જોયું છે. SIR પર કોંગ્રેસે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી છે. તાલુકા અને જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષોને પણ SIRની માહિતી આપવામાં આવશે. આગામી દિવસમાં શું કરી શકાય તેના પર ચર્ચા કરાશે અને સંગઠનના કાર્યક્રમો પર ચર્ચા કરવામાં આવશે. કોઈપણ ચૂંટણીની શરૂઆત મતદાન યાદી બનવાથી થતી હોય છે. મતદાન યાદીમાં કોઈ ખામી રહે તો કોઈપણ ચૂંટણી યોગ્ય થઈ હોય તેવું ના કહી શકાય. અમારા તમામ નેતાઓ મતદારયાદી પર ધ્યાન આપશે. ચૂંટણી આયોગે પણ પોતાના કામ કરવાની પદ્ધતિમાં બદલાવ લાવવાની આવશ્યકતા છે. જો આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ન થાય તો લોકો માટે આવનારા દિવસો ખુબ મુશ્કેલીરૂપ રહી શકે છે.
સૌરાષ્ટ્રના 4 જિલ્લાને મળશે 2 નવી ટ્રેન:પોરબંદર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકાને મળશે રેલવે સુવિધા
ભારતીય રેલવે દ્વારા સૌરાષ્ટ્રના ચાર જિલ્લા પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગરમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ માટે બે નવી પેસેન્જર ટ્રેનો શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને પોરબંદરના સાંસદ ડૉ. મનસુખ માંડવિયાના પ્રયાસોના પરિણામે આ ટ્રેનોનો પ્રારંભ 14મી નવેમ્બરથી થશે, જેનાથી લાખો મુસાફરોને રાહત મળશે અને પ્રાદેશિક વિકાસને વેગ મળશે. મંજૂર થયેલી બે ટ્રેનો પૈકી એક ટ્રેન રાજકોટ-પોરબંદર-રાજકોટ રૂટ પર જેતલસર જંક્શન વાયા દૈનિક ધોરણે ચાલશે. બીજી ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ માટે કાર્યરત રહેશે. કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં રેલ સેવાના વિસ્તરણનો મુખ્ય ઉદ્દેશ પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાનો અને આ વિસ્તારમાં કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, આર્થિક વિકાસ માટે માળખાકીય સુવિધાઓ અને કનેક્ટિવિટી અત્યંત મહત્વપૂર્ણ છે. આ નવી સુવિધાથી રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સ્થાનિક લોકોનું જીવન સરળ બનશે. આ ઉપરાંત, વ્યાપાર, વાણિજ્ય અને પ્રવાસનને પણ વેગ મળશે, જે વિકસિત સૌરાષ્ટ્રના સ્વપ્નને સાકાર કરવામાં મદદરૂપ થશે. દાયકાઓથી પડતર રહેલી આ રેલવે સુવિધાની માંગણી સંતોષાતા સ્થાનિક લોકોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. ડૉ. મનસુખ માંડવિયા રાજકોટથી પોરબંદર સુધી ટ્રેનમાં મુસાફરી કરશે, જ્યાં તેમનું વિવિધ સ્થળોએ સ્વાગત અને સન્માન કરવામાં આવશે. અગાઉ તેમના પ્રયાસોથી મતવિસ્તારમાં બે વિમાન સેવાઓ પણ શરૂ થઈ હતી, અને હવે બે ટ્રેનો મળતા વિકાસની ગતિ વધુ તેજ બની છે. આનાથી જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર વચ્ચેની અવરજવર વધુ સુગમ બનશે.
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટની ગંભીર ઘટના બાદ ગુજરાતમાં એલર્ટ જાહેર કરાયું છે. આના પગલે, જામનગર જિલ્લામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે અને સમગ્ર જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરાયો છે. જામનગરનો દરિયાઈ વિસ્તાર મોટો હોવાથી, બેડી બંદર પર મરીન પોલીસ અને મરીન કમાન્ડો દ્વારા સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં ફિશિંગ બોટ સહિત આસપાસના વિસ્તારમાં સાધનોની પણ ચકાસણી કરવામાં આવી હતી. ખાસ કરીને, બેડી બંદર પરની જેટી પર લંગારેલી ફિશિંગ બોટમાં મરીન કમાન્ડો દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. મરીન કમાન્ડોએ હથિયારો સાથે પોલીસ સ્ટાફની મદદથી સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના મુજબ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા, જામનગર શહેર અને ગ્રામ્ય વિભાગના નાયબ અધિક્ષક જયવીરસિંહ ઝાલા અને રાજેન્દ્ર દેવધાએ આ કામગીરીનું નેતૃત્વ કર્યું હતું. આ સુરક્ષા અભિયાનમાં LCB, મરીન પોલીસ, મરીન કમાન્ડો અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફને જોડવામાં આવ્યા છે.
દિલ્હી બ્લાસ્ટ બાદ પોરબંદર પોલીસ એલર્ટ:દરિયામાં મરીન પોલીસનું સઘન પેટ્રોલિંગ શરૂ
દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આના પગલે પોરબંદર પોલીસે જિલ્લાભરમાં પેટ્રોલિંગ અને સઘન ચેકિંગ શરૂ કર્યું છે. દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને મરીન પોલીસે પણ દરિયામાં બોટ પેટ્રોલિંગ દ્વારા સઘન તપાસ હાથ ધરી છે. સોમવારે મોડી સાંજે દિલ્હીના લાલ કિલ્લા નજીક એક કારમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ ઘટના પછી પોરબંદર પોલીસ તંત્ર સક્રિય બન્યું અને પોલીસે અલગ-અલગ ૧૩ ટીમો બનાવીને સમગ્ર જિલ્લામાં ચેકિંગ અભિયાન શરૂ કર્યું. જિલ્લાના પ્રવેશદ્વાર પર આવેલી ચેકપોસ્ટો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા રેલવે સ્ટેશન, એરપોર્ટ, એસ.ટી. બસ સ્ટેન્ડ, ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિર અને બંદર પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. પોરબંદરનો દરિયાકિનારો સંવેદનશીલ હોવાથી દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. મિયાણીથી માધવપુર સુધીના દરિયાકિનારા પર સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું. મરીન પોલીસ દ્વારા દરિયામાં ચોવીસ કલાક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. સમુદ્રમાંથી આવતી-જતી તમામ બોટોનું સઘન ચેકિંગ અને માછીમારોના દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ અંગેની માહિતી DySP ધ્રુવલ સુતરિયા દ્વારા આપવામાં આવી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા ફૂટબોલ ભાઈઓ-બહેનોની ઇન્ટર કોલેજ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ભાઈઓમાં પ્રથમ સ્થાને કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તો બહેનોમાં જામનગરની ગોસ્વામી કોલેજે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમમાં વિજેતા થનાર ટીમમાથી બેસ્ટ 16 ખેલાડીઓનું સિલેક્શન કરવામાં આવશે અને તેઓ ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે. 'બંને ટીમમાં ભાઈઓ અને બહેનોએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન બતાવ્યું'યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યું હતું કે, આંતર કોલેજ ફૂલટોલ સ્પર્ધામાં 10 કોલેજોના 160 ભાઈઓ અને 9 કોલેજોના 120 બહેનો એમ કુલ 19 કોલેજોના 280 ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં બંને ટીમમાં ભાઈઓ અને બહેનોએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન બતાવ્યું હતું. વિજેતા ખેલાડીઓને શુભેચ્છાસમગ્ર સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરનાર તમામ ટીમોને તથા વિજેતા ખેલાડીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશી, રજીસ્ટ્રાર મનીષ ધામેચા તથા ઇન-ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશભાઈ રાબાએ શુભેચ્છા પાઠવી હતી અને તેમની પ્રતિભાનું અભિનંદન કર્યું હતું.આ સ્પર્ધાનું સફળ સંચાલન ડૉ. ભાવેશભાઈ રાબાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતુ. જ્યારે સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓના ઉત્સાહભર્યા સહકારથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
રાજ્યમા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે સરકાર દ્વારા 10,000 કરોડનું ખાસ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેને વિપક્ષ દ્વારા લોપીપોપ કહેવામાં આવી રહી છે. વિપક્ષ દ્વારા પણ ખેડૂતોને સહાય અને પાકધિરાણ માફ કરવાના મુદે આક્રમક વલણ દાખવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ચોમાસાની સિઝન લળવાના સમયે જ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમા નુકશાન થયું છે ખાસ કરીને મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના તમામ પ્રશ્નો ધ્યાને લઈ તેમના હક્ક માટે “કિસાન આક્રોશ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનું આજે રાજકોટ ખાતે આગમન થતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતુ. માધાપર ચોકથી લોકો બાઈક અને ટ્રેક્ટર લઇ રેલીમાં સાથે જોડાયા હતા અને ખેડૂત એકતા જિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા.. કોંગ્રેસના નેતા લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સરકારે ખેડૂતો માટે જે સહાય પેકેજ જાહેર કર્યું છે તે મજાક સમાન છે. ખેડૂતોને મોલ વાવવા માટે એક વીઘે 15,000થી વધુ તો માત્ર ખર્ચ આવે છે ત્યારે સરકારે 3500 રૂપિયાની સહાય આપીને ક્રૂર મજાક કરી છે. છેલ્લા એક અઠવાડિયામાં સૌરાષ્ટ્રમા ચાર-ચાર ખેડૂતોએ આત્મહત્યા કરી છે ત્યારે સરકારના પેટમાં પાણી નથી હલતું તે વાતનું દુઃખદ થાય છે. જ્યાં સુધી સરકાર ખેડૂતોનું સપૂર્ણ દેવુ માફ નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસ નવા નવા આંદોલનો ચાલુ જ રાખશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સરકારને માત્ર ઉદ્યોગપતિઓ જ દેખાય છે એટલે જ એમના કરોડના દેવા માફ કરે છે અને ખેડૂતોની સામે પણ નથી જોતી તે શર્મજનક વાત છે. આ યાત્રા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી પસાર થઈ અને ખેડૂતો, ખેત મજૂરો, સાગર ખેડુઓ તથા પશુપાલકોની મુશ્કેલીઓ અને હકોની માંગને સરકાર સુધી પહોચાડવાનો મુખ્ય ધ્યેય છે. કુદરત રૂઠી અને સરકાર સૂતી : કોંગ્રેસ રાજ્યમાં અતિવૃષ્ટિ, વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે મગફળી, કપાસ, ડાંગર, સોયાબીન, ડુંગળી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. જેને લઇ વિપક્ષનો સ્પષ્ટ આક્ષેપ છે કે સરકાર માત્ર જાહેરાતો કરે છે, પરંતુ ખેડૂતોને ચુકવણી સમયે ફક્ત 30 થી 35 ટકા સહાય જ મળી રહી છે ઉપરાંત વર્ષ 2020થી પાકવિમા યોજના બંધ હોવાથી ખેડૂત સંપૂર્ણપણે સરકારની દયા પર નિર્ભર બન્યા છે. જે સ્પષ્ટ કરે છે કે ખેડૂતો પ્રત્યે કુદરત રૂઠી છે આમ છતાં સરકાર સૂતી છે. કોંગ્રેસ પક્ષની 8 મુખ્ય માંગણીઓ (1) ખેડૂતોનું દેવું માફ કરો : જેમ મનમોહનસિંહ સરકારે 72,000 કરોડ ખેડૂતોના દેવા માફ કર્યા હતા તેમ જ ગુજરાતના ખેડૂતોના દેવા પણ પૂર્ણ માફ કરવામાં આવે. (2) પાકવિમા યોજના તાત્કાલિક શરૂ કરો : જે 2020થી ગુજરાતમાં બંધ છે પરંતુ દેશના બાકીના રાજ્યોમાં ચાલુ છે. (3) ખેડૂતોને સીધી સહાય : કમોસમી વરસાદના કારણે મગફળીમાં ભેજ વધુ છે તેથી ટેકાના ભાવના માપદંડમાં રાહત આપવી અથવા દર ખેડૂતને રૂ.1,35,000 થી રૂ.1,50,000 સુધીની સહાય સીધી જમા કરવી. (4) ખોટી જમીન માપણી રદ્દ કરો, ભાઈ-ભાઈ વચ્ચે ઝગડા ઊભા કરનાર ખોટી જમીન માપણી સંપૂર્ણપણે રદ્દ કરવી. (5) જમીન સંપાદન કાયદામાં સુધારણા, ઉદ્યોગપતિઓ માટે 2013નો કાયદો રદ્દ કર્યો છે sખેડૂતોની જમીન અને સોલાર, વિન્ડ ફાર્મ કંપનીઓની દાદાગીરી સામે કડક નીતિ બનાવવી. (6) નકલી બિયારણ-દવા પર લગામ, નકલી ખાતર, દવા, બીજના માફિયાઓ સામે કડક કાર્યવાહી કરીને ગુણવત્તાયુક્ત ખાતરની સુલભતા સુનિશ્ચિત કરવી. (7) પશુપાલકોને સહાય: પશુદાણ, ઘાસચારો અને દૂધમાં સબસીડી આપવી હિમાચલની જેમ દૂધના ટેકાના ભાવ નક્કી કરવા. (8) સાગર ખેડુઓ અને ખેતમજૂરો માટે વળતર:કમોસમી વરસાદના કારણે સાગર ખેડુઓ અને ભાગીયું વાવેતર ધરાવતા મજૂરોને પણ વળતર આપવું.
નર્મદા જિલ્લાના રાજપીપળાથી મળતા અહેવાલ મુજબ, દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ઘટના બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આમાં ખાસ કરીને મોટા પ્રવાસન અને ધાર્મિક સ્થળો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યાં આવતા પ્રવાસીઓનું સઘન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ડીજીપીના આદેશથી સુરક્ષામાં વધારોદિલ્હીમાં બ્લાસ્ટની ઘટનાને પગલે રાજ્યના ડીજીપીની સૂચનાના આધારે નર્મદાના એસ.પી. વિશાખા ડાબરાલ અને સેનાપતિ SRP ગ્રુપ 18ના અધિકારીઓએ સુરક્ષા વધારવાના આદેશ આપ્યા છે. આ આદેશ બાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ ખાતે પોલીસ સહિત અન્ય સલામતી દળોની સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. પ્રત્યેક પ્રવાસીનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ આવતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. SoUની બસોમાં પણ ખાસ ચેકિંગની કામગીરી ચાલી રહી છે. ભારત પર્વ અને VIP મહેમાનોના કારણે વિશેષ તકેદારીહાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 'ભારત પર્વ'ની ઉજવણી ચાલી રહી છે. આ ઉજવણીમાં રોજેરોજ અલગ-અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો તથા મંત્રીઓ સહિતના વીવીઆઈપી મહેમાનો આવી રહ્યા છે. આ સંજોગોમાં સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ અને આસપાસના વિસ્તારોમાં ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર સરહદ પર સઘન વાહન ચેકિંગનર્મદા જિલ્લો મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલો હોવાથી, અન્ય રાજ્યોમાંથી કોઈ અનિચ્છનીય ઘૂસણખોરી ન થાય તે સુનિશ્ચિત કરવા પોલીસ દ્વારા આંતરરાજ્ય સરહદો પર પણ સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત, આગામી 15મી નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડેડિયાપાડા ખાતે મોટો કાર્યક્રમ પણ યોજાવાનો છે. આ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પણ નર્મદા જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત કરી દેવામાં આવી છે.
ભાવનગર શહેરમાં લાંબા સમયથી સિટી બસ સેવા બંધ હોવાથી શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સીટી બસ સેવા બંધ થતાં લોકો ઓટોરિક્ષા અને ખાનગી વાહનો પર આધારિત બન્યા છે, જેના કારણે મુસાફરીનો ખર્ચ પણ વધ્યો છે. શહેરમાં સીટી બસ સેવા બંધ છે ને EV-બસ શરૂ કરવાના અભરખાઆ મુદ્દે શહેર કોંગ્રેસે મનપાના શાસક પક્ષ અને અધિકારીઓ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું છે કે શાસકોની બેદરકારી અને નબળી નીતિઓના કારણે શહેરની બસ સેવા ઠપ થઈ ગઈ છે. બીજી તરફ, શાસક પક્ષે સ્પષ્ટ કર્યું છે કે ભાવનગરમાં આધુનિક પરિવહન વ્યવસ્થા ઉભી કરવા માટે ઈલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવાની તૈયારી અંતિમ તબક્કે છે અને ડિસેમ્બર મહિનાથી આ સેવા શરૂ થઈ નાગરિકોને સુવિધાસભર મુસાફરી ઉપલબ્ધ થશે. આયોજનના અભાવે અને તંત્રની ઉદાસીનતાને કારણે ધીમે ધીમે સીટી બસ સેવા બંધ ભાવનગર સિવાય રાજ્યના અન્ય મહાનગરો અને અનેક શહેરોમાં વર્ષોથી સિટી બસ સેવા સફળતાપૂર્વક શરૂ છે. એક સમય એવો હતો જ્યારે ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સેવા ઉત્તમ આયોજન સાથે શહેરના આશરે 14 કરતાં વધુ રૂટ પર નિયમિત રીતે ચાલતી હતી જેનાથી હજારો નાગરિકોને રાહત મળી રહેતી. પરંતુ સમય જતાં યોગ્ય આયોજનના અભાવે અને તંત્રની ઉદાસીનતાને કારણે આ સેવા ધીમે ધીમે બંધ થતી ગઈ અને અંતે સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ. હાલ જાગૃત શહેરીજનોએ ફરી એકવાર મહાનગરપાલિકાને સિટી બસ સેવા પુનઃ શરૂ કરવાની માંગ ઉઠાવી છે, જેથી સામાન્ય નાગરિકોને સસ્તું અને સારી મુસાફરી ઉપલબ્ધ થઈ શકે. ડિસેમ્બર મહિનાથી ઈલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવાની તૈયારીભાવનગર શહેરમાં ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવા માટે કેન્દ્ર સરકારે પણ સીધો સહયોગ આપવાની ખાતરી આપી હતી. ઓછા મેઈન્ટનન્સ સાથે ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી નવા જ અભિગમ સાથે ભાવનગર મહાનગર પાલિકા દ્વારા રૂપિયા 24 કરોડના ખર્ચે શહેરના ટોપથ્રિ સર્કલ નજીક આ ઇ-બસ સેવા શરૂ કરવા માટે સૌપ્રથમ પાયાકિય સ્ટ્રક્ચર હોવું અનિવાર્ય હોય. આથી આ ઈલેક્ટ્રીક બસો માટે અલગ ડેપો બનાવવામાં આવ્યો. જે તા.24 જૂન 2024માં ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું. જે કામ 30 ડિસેમ્બર પૂર્ણ થાય છે, પણ હજુ સુધી 90 ટકા કામ છે જે પૂર્ણ થયું છે ત્યારે વહેલી તકે શહેરમાં પુનઃ સીટી બસ સેવા કાર્યરત કરવા લોકમાંગ ઉઠી છે. 'શાસકોની નબળાઈના કારણે લગભગ ભાવનગર શહેર કોર્પોરેશનમાં બસની સુવિધા બંધ'સિટી બસ સેવા બંધ અંગે શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણીએ જણાવ્યું કે, મને એવું લાગે છે કે આના કરતાં નાના શહેરો કે નગરપાલિકા છે એમાં બસની સુવિધા ચાલુ છે અને સરકાર બહુ મોટી વાતો કરે છે અમે ઇ બસ ડિસેમ્બર સુધીમાં ફાળવી દેવાના છીએ હવે ડિસેમ્બરને વાર શું છે. છતાં બસ ફાડવી નથી ખાતુ મુહૂર્ત કરે છે ડેપોના ઉદ્ઘાટન કરે છે છતાં મને એવું લાગે છે મસ મોટા ભાડાથી ભાવનગરના પ્રજાજનો પણ કંટાળી ગયા છે ત્યારે અનેક વખત કોંગ્રેસ પક્ષે આંદોલન કર્યા છે અને અમે તમારું સન્માન પણ કરીશું એવું પણ કહેવામાં આવ્યું છે છતાં પણ આ શાસકો અને અધિકારીઓની નબળી નીતિના કારણે આજ સુધી બસની સુવિધા સંપૂર્ણ છે જ નહીં. બંધ છે જીરો છે શરૂ કરે તો બહુ સારી વાત કહેવાય. 100 બસ મીની ઈલેક્ટ્રીક એસી બસ પાસ કરી છેછેલ્લા ઘણા સમયથી શહેરમાં સીટી બસ સેવા બંધ છે તે અંગે મેયર ભરત બારડે જણાવ્યું કે, એવો અમને વિશ્વાસ આપવામાં આવ્યો છે ફેસ-2 માં આપણો નંબર આવ્યો છે ફેઝ-1માં અત્યારે બસનું વિતરણ ચાલુ છે તેથી હવે ભાવનગરનો જ વારો છે ડિસેમ્બર માસમાં જ અમને વિશ્વાસ છે કે બસ ચાલુ કરાવી દેશો. કોંગ્રેસ પક્ષના આક્ષેપ અંગે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કોઈએ રસ લીધો નથી અમેં રસ લીધો છે. કેવા વાળા અને કરવાવાળા જુદા હોય છે. અમારે કોઈ ઉપર આરોપ નથી મૂકવો પણ એટલું જ આપને વિશ્વાસ આપીએ છીએ કે ભાવનગરની જનતા માટે હું અને મારી ટીમ સખત પરિશ્રમ કરી રહી છે સખત મહેનત કરી રહી છે જેમ બને તેમ વહેલી બસ લાવી છે એની સંપૂર્ણ તૈયારી અમેં કરી ચૂક્યા છીએ થોડા જ દિવસોમાં અમે કહીએ તો ચાલે બસો આવી રહી છે.
સાયબર ફ્રોડ કરનાર નાઈજીરીયન ગેંગ સાથે કામ કરનાર 6 આરોપીની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. આરોપીઓ નાઈજીરીયન ગેંગને 10 ટકા કમિશન પર એકાઉન્ટ પૂરા પાડતા હતા. સાથે સાથે ફ્રોડના નાણાં ઉપાડીને નાઈજીરીયન ગેંગને પહોંચાડતા પણ હતા. મુખ્ય આરોપી 10 વર્ષથી એકાઉન્ટ પૂરા પાડવાનું કામ કરી રહ્યો હતો, જેમાં તેણે 1 હજારથી વધુ એકાઉન્ટ આપી 50 કરોડથી વધુના ટ્રાન્જેક્શન કરાવ્યા હોવાની શક્યતા છે. જેના આધારે તપાસ કરવામાં આવી રહી છે. સાયબર ગઠિયાઓએ 32.72 લાખ રૂપિયા પડાવ્યા હતાથોડા સમય અગાઉ એક વેપારીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમને હોમિયોપેથી લિક્વિડ બજાર કરતા સસ્તા ભાવમાં આપીને તે લિક્વિડ અન્ય દેશમાં વેચવાના બહાને સાયબર ગઠિયાઓએ 32.72 લાખ રૂપિયા પડાવ્યા હતા. સાયબર ક્રાઇમ દ્વારા આ ગુનાની તપાસ દરમિયાન જામનગર ખાતેથી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં નાઈજીરીયન ગેંગે વેપારીને સસ્તામાં લિક્વિડ આપવાનું કહીને 32 લાખની છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ કેસમાં બેન્ક એકાઉન્ટ પુરા પાડનાર અન્ય છ આરોપીઓની મુંબઈ અને બેંગલોર ખાતેથી ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 14 મોબાઈલ ફોન, 7 સીમકાર્ડ, 33 ડેબિટ કાર્ડ કબજે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોપીઓના જેટલા બેન્ક એકાઉન્ટ મળ્યા છે તેની સામે દેશભરના અલગ અલગ રાજ્યોમાં 112 જેટલી ફરિયાદ પણ થઈ ચૂકી છે. મુંબઈ-બેંગ્લોરથી છ આરોપીઓની ધરપકડસાયબર ક્રાઈમે ક્રિષ્નામતી ચૌધરી, મહેશ ચૌધરી, સલીમ શેખ, ત્રીજુગીલાલ કુર્મી, રાજેશ સરોજ અને માદુફોર સ્ટીવ નામના છ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પૈકી એકાઉન્ટ પૂરું પાડનાર સલીમ મુખ્ય આરોપી છે જે યુપી, બિહાર અને નેપાળના લોકોને શોધીને કમિશન પર એકાઉન્ટ મેળવતો હતો. સાયબર ફ્રોડના નાણાંમાંથી 10 ટકા કમિશન રાખીને બાકીના નાણા નાઈજીરીયન ગેંગને આપતો હતો. સલીમની નીચે ત્રીજુગી કુર્મી અને રાજેશ સરોજ કામ કરતા હતા, જે એકાઉન્ટ હોલ્ડર સાથે બેંકમાં જઈને નાણા ઉપાડતા હતા. બેન્ક એકાઉન્ટ માટે 5થી 7 ટકા જેટલું કમિશન મળતું હતુંઆ કેસમાં ક્રિષ્નામૂર્તિ ચૌધરી અને વિશ્રામ ચૌધરીએ પોતાનું એકાઉન્ટ પૂરું પાડ્યું હતું, જે બંને મૂળ નેપાળના રહેવાસી છે. બંનેએ અલગ અલગ એન્ટરપ્રાઇઝના નામે 10થી 15 જેટલા એકાઉન્ટ ખોલાવ્યા હતા જેમાં 5 એકાઉન્ટમાં સાયબર ક્રાઇમમાં નોંધાયેલા ગુનાના 32.72 લાખ રૂપિયા આવ્યા હતા. આરોપીઓએ ત્રીજુગીલાલ અને રાજેશને સાથે રાખીને બેંકમાંથી પૈસા ઉપાડીને સલીમને આપ્યા હતા. જે પૈસા સલીમે નાઈજીરીયન ગેંગને આપ્યા હતા. ક્રિષ્નામતિ અને મહેશને બેન્ક એકાઉન્ટ માટે 5થી 7 ટકા જેટલું કમિશન મળતું હતું. જેમાંથી તેમણે અત્યાર સુધી તેમણે 6 થી 7 લાખ રૂપિયા કમિશન મેળવ્યું છે. દસ વર્ષના એકાઉન્ટમાં 50 કરોડથી વધુના ટ્રાન્જેક્શનની શક્યતાનાઈજીરીયન ગેંગનો મુખ્ય સૂત્રધાર સલીમ શેખ છે. જે અગાઉ દિનેશ પાંડે સાથે જોડાયેલો હતો. દિનેશ પાંડે નાઈજીરીયન ગેંગના સંપર્કમાં રહીને એકાઉન્ટ પ્રોવાઇડ કરતો હતો, પરંતુ દિનેશ પાંડેના મોત બાદ સલીમ શેખ સુધા નાઈજીરીયન ગેંગના સંપર્કમાં આવ્યો હતો. સલીમ છેલ્લા દસ વર્ષથી જુદા જુદા માણસોનો સંપર્ક કરીને તેમના નામે એન્ટરપ્રાઇઝના એકાઉન્ટ ખોલાવી આ બેન્ક એકાઉન્ટ કમિશન પર સાયબર ફ્રોડ કરતી ગેંગને આપતો હતો. સલીમે છેલ્લા દસ વર્ષમાં 1,000થી વધુ એકાઉન્ટ આપ્યા હોવાની શક્યતા છે. આ ઉપરાંત સલીમે આપેલા દસ વર્ષના એકાઉન્ટમાં 50 કરોડથી વધુના ટ્રાન્જેક્શન થયા હોવાની પણ શક્યતા છે. જેના આધારે સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે.
શહેરના થલતેજ અને મોટેરામાં ચોરીની બે વિચિત્ર ઘટનાઓ સામે આવી છે. થલતેજમાં ઘરની સફાઈ કરવા માટે આવેલા ત્રણ યુવક ચાર લાખ રૂપિયાના સોનાના દાગીના ચોરી લીધા હતા. જ્યારે મોટેરામાં ગેટ-ટુ ગેધરના કાર્યક્રમમાં આવેલા મહેમાને 1.73 લાખ રૂપિયાના દાગીના ચોરી લીધા હતા. વસ્ત્રાપુર અને ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. દંપતીએ ઘરની સફાઈ માટે વડોદરાથી અમદાવાદ આવ્યાં હતાં થલતેજ વિસ્તારમાં આવેલા આદિત્ય એપાર્ટમેન્ટના એક મકાનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ જયાબેન પટેલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કરી છે. જયાબેન પતિ ભરતભાઈ પટેલ સાથે વડોદરા ખાતે રહે છે. જયાબેનને સંતાનમાં બે દીકરા છે, જે છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં સ્થાઈ થયા છે. જયાબેનનું થલતેજ વિસ્તારમાં આવેલા આદિત્ય એપાર્ટમેન્ટમાં પોતાનું મકાન છે. મકાનની સાફસફાઈ કરવા માટે જયાબેન પતિ સાથે વડોદરાથી અમદાવાદ આવ્યા હતા. મકાનની સાફ-સફાઈ કરવા માટે જયાબેને જી.જે.હોમ ક્લીનીગ નામની કંપનીમાં ફોન કર્યો હતો. કંપની તરફથી ગઈકાલે સવારના સાડા દસ વાગ્યાની આસપાસ ત્રણ યુવકને સાફસફાઈ કરવા માટે આવ્યા હતા. ઘરમાં સફાઈને તપાસ માટે જતાં ચોરીની જાણ થઈત્રણેય યુવકો ઘરની સાફસફાઈ કરી રહ્યા હતા, જ્યારે જયાબેન પતિ સાથે બીજા રૂમમાં આરામ કરતા હતા. બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ ત્રણેય યુવકે જયાબેનને કહ્યુ કે, અમે જમીને પરત આવીએ છીએ. ત્રણેય યુવકો જમવાનું કહીને જતા રહ્યા હતા, ત્યારબાદ પરત આવ્યા નહીં. દરમિયાનમાં જયાબેન અને ભરતભાઈએ ઘરનું કામ કેવુ કર્યુ છે તે જોવા માટે બીજા રૂમમાં ગયા હતા. રૂમમાં પહોચ્યા ત્યારે કબાટનો દરવાજો ખુલ્લો હતો અને તેમાંથી બે તોલાના વજનની બુટ્ટી, સોનાનું અમેરિકન ડાયમંડવાળુ બ્રેસલેટ, સોનાની બંગડી, પેન્ડલ સહિત કુલ ચાર લાખ રૂપિયાના દાગીના ગાયબ હતા. ત્રણેય યુવકો પરત નહીં આવતા અંતે જયાબેને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. વસ્ત્રાપુર પોલીસે આ મામલે જે.જી. હોમ્સ ક્લીનીંગ કંપનીના ત્રણ કર્મચારીઓ વિરૂદ્ધ ચોરીની ફરિયાદ કરી છે. પોલીસે ત્રણેય યુવકો વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મોટેરામાં ગેટ-ટુ ગેધરમાં આવેલા મહેમાને ચોરી કરીઅન્ય બનાવમાં મોટેરા ખાતે આવેલા કીયારા ઓપ્યુલન્ટ ખાતે રહેતા ધીરેન શાહે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં 1.73 લાખના મત્તાની ચોરીની ફરિયાદ કરી છે. ધીરેન શાહ છેલ્લા ઠ મહિનાથી ટોરેન્ટ પાવરમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. ધીરેન શાહ પત્નિ ફોરમબેન ભાભી, ભત્રીજા સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. દિવાળી પછી ધીરેન શાહે ઘરમાં ગેટ-ટુ ગેધરનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમા તેમણે સંગાસંબંધી, મિત્ર અને પડોશીઓને આમંત્રણ આપ્યુ હતું. રાતે સાત વાગ્યાથી મહેમાનો આવવાના શરૂ થઈ ગયા હતા. આઠ વાગ્યા સુધીમાં 32 જેટલા મહેમાનો આવી ગયા હતા અને ગેમ, સંગીતનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. સંગીત બાદ તમામ લોકોએ જમવાનું શરૂ કર્યુ હતું. જમવાનું પીરસવા માટે ધીરેન શાહે બહારથી બે મહિલાને બોલાવી હતી. રાતે 11 વાગ્યાની આસપાસ ગેટ-ટુ ગેધરનો પોગ્રામ પુરો થતા તમામ લોકો પોતપોતાના ઘરે જતા રહ્યા હતા. બીજા દિવસે જ્યારે ફોરમબેન રૂમમાં ગયા ત્યારે તેમના ભાભીની બુટ્ટી મળી આવી હતી. ફોરમબેને ભાભીને પૂછ્યુ કે તમારી બુટ્ટી અમારા રૂમમાં કેવી રીતે આવી. કઈક અજુગતી ઘટના બની હોવાની શંકાના આધારે ફોરમબેને તીજોરી તેમજ કબાટ ચેક કર્યા હતા. કબાટ ચેક કરતા સોનાના દાગીના ગાયબ હતા. ધીરન શાહે તમામ મહેમાનોની પૂછપરછ કરી હતી, જેમાં એક વ્યકિતએ દાગીના લીધા હોવાની કબૂલાત કરી હતી. ધીરેન શાહના દાગીના પરત આપી દેવાની બાહેધરી આપતા અંતે તેમણે ફરિયાદ કરવાનું ટાલ્યુ હતું, પરંતુ મહેમાને દાગીના નહીં આપતા અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટ મનપા કચેરીએ આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં રોડ રસ્તા બનાવવા સહિત કુલ 52 દરખાસ્તો આવી હતી. જે પૈકી 4 રિટેન્ડર કરવામાં આવી હતી. જ્યારે PMU (પ્રોજેકટ મેનેજમેન્ટ યુનિટ) માટે સ્ટાફ ફાળવવા માટેનો કોન્ટ્રાકટ આપવા અને ત્રણ પટ્ટાવાળાને કાયમી કરવાની બંને દરખાસ્તો નામંજૂર કરવામાં આવી હતી. જોકે રાજકોટમાં રોડ-રસ્તાનાં 15.27 કરોડ અને વોટરવર્ક્સ વિભાગના રૂ. 57.85 કરોડ સહિત કુલ રૂ. 81 કરોડથી વધુના વિકાસકામોની 45 દરખાસ્તો મંજુર કરવામાં આવી હતી. તો રામવનમાં ફૂડકોર્ટ સંચાલન, દુકાનોની હરરાજી અને પે એન્ડ પાર્કિંગ દ્વારા મનપાને રૂ. 4.77 કરોડની આવક થાય તેવી દરખાસ્તો પણ મંજુર કરાઈ હતી. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પછી એક્શન પ્લાન અંતર્ગત નવા રોડ-રસ્તા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, પૂર્વ ઝોનના વોર્ડ નં. 4, 5, 6, 15, 16 અને 18માં જુદી-જુદી સોસાયટીના યુટિલિટી રોડનું રિસ્ટોરેશન અને ટીપી રોડ પર મેટલીંગ કરવા માટે રૂ. 9.66 કરોડનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મંજુર કરી દેવામાં આવી છે. તેમજ અન્ય વિસ્તારોમાં રોડ-રસ્તાની રૂ. 5.80 કરોડની દરખાસ્તો મળી કુલ 15 કરોડથી વધુ રકમ મંજુર કરાઈ છે. ઉપરાંત, આ છ વોર્ડમાં અમૃત-2.0 યોજના હેઠળ ડીઆઈ પાઈપ અને ડ્રેનેજ પાઈપલાઈનનું કામ પૂર્ણ થયા બાદ રૂ. 11.25 કરોડના ખર્ચે મેટલીંગ અને પેવર કામ કરવાની દરખાસ્ત પણ મંજૂર કરાઈ છે. ન્યારી પર ઇન્ટેક વેલ સહિત વોટર વર્ક્સના કામો મંજુર ન્યારી ડેમ પર ઇન્ટેક વેલ: 150 એમએલડીનો ઇન્ટેક વેલ બનાવવા માટે રૂ. 14.53 કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં ફિનિક્સ પ્રોજેક્ટ લી. એ 28.32% વધુ 'ઓન' એટલે કે રૂ. 21.89 કરોડના ખર્ચે આ કામ મંજુર કરાયું છે. જ્યારે મેઇન્ટેનન્સના કામોમાં ન્યારી ઝોન, ભાદર ઝોન, હડાળા, બેડી, ન્યારાના પમ્પિંગ સ્ટેશન અને ફિલ્ટર પ્લાન્ટ સહિતના મેઇન્ટેનન્સ અને નવી પાઇપલાઇનના કામો મંજુર કરવામાં આવ્યા છે. વોટર વર્ક્સ વિભાગના જુદા જુદા કામો માટે રૂ. 57.85 કરોડની ફાળવણીને પણ મંજુર કરવામાં આવી છે. આ નિર્ણયથી આવનારા વર્ષોમાં રાજકોટ શહેરમાં પાણી વિતરણની પ્રક્રિયા વધુમાં વધુ સરળ બનશે. અન્ય મહત્ત્વની દરખાસ્તો સફાઈ અને કચરા ઉપાડવાના કોન્ટ્રાક્ટ: અલગ-અલગ વોર્ડમાં પાર્ટ ટાઇમ સફાઈ કામદારો મારફત સફાઈ અને કચરો ઉપાડવાના કામના કોન્ટ્રાક્ટની મુદત વધારવા તેમજ નવો દ્વિવાર્ષિક કોન્ટ્રાક્ટ આપવા માટેની કુલ 11 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. તેમજ રામવનમાં ફૂડ કોર્ટ બનાવવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ મનપાનાં રામવન (અર્બન ફોરેસ્ટ) ખાતે મુલાકાતીઓની સુવિધા અને કોર્પોરેશનની આવક માટે બનાવવામાં આવેલી 3 ફૂડ કોર્ટનું દ્વિવાર્ષિક સંચાલન આપવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે. પ્રોજેકટ મેનેજમેન્ટ યુનિટ (PMU) માટે રૂ. 7.67 કરોડનો જંગી ખર્ચ નામંજૂર મહાપાલિકામાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ (PMU) ના સંપૂર્ણ સંચાલન માટે ખાસ એજન્સી રોકવામાં આવશે. આ અંગે ઉચ્ચ ટેકનિકલ સ્ટાફ રોકવા માટે ડિલોઇટ ટચ તોહમાત્સુ ઇન્ડિયા એલએલપી (Deloitte Touche Tohmatsu India LLP) ને બે વર્ષનો રૂ. 7.67 કરોડનો મોટો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીને મળી હતી. જેમાં કંપની પ્રોજેક્ટ ડિરેક્ટરની 1 જગ્યા, પ્રોજેક્ટ મેનેજર, અર્બન મેનેજરની 5 જગ્યા, ટેકનિકલ સપોર્ટ સ્ટાફની 2 અને સપોર્ટ સ્ટાફની 1 જગ્યા મળી કુલ 9 જગ્યાઓ માટે સ્ટાફ પૂરો પાડવાની હતી. જોકે આ દરખાસ્તમાં માત્ર ચાલુ પ્રોજેકટનાં મેનેજમેન્ટ માટે થનાર ખર્ચ લાગતા તે નામંજૂર કરવામાં આવ્યો છે. ઉપરાંત હંગામી જગ્યા પર ફરજ બજાવતા કુલ 3 પટ્ટાવાળા (કિશોરસિંહ ટી. જાડેજા, હરગોવન કે. ચાવડા અને પરસોતમ સી. કિયાડા) ને કાયમી સ્ટેઅપ પર પોસ્ટિંગ આપવાની દરખાસ્તો પણ નામંજૂર કરાઈ છે. ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના કામે ટોટલ સ્ટેશન મશીનથી ખુલ્લા વિસ્તારની માપણી, બાંધકામ સાથેના વિસ્તારની માપણી, ટી.પી. રોડની માપણી, ડીમાર્કેશન વિગેરે કામગીરીની મુદત વધારવાની દરખાસ્તની સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજીત વિવિધ કાર્યક્રમો/પ્રસંગો સમયે LED સ્ક્રીન/લેસર શોની હંગામી વ્યવસ્થા કરવાના કામે દ્વિ-વાર્ષિક રેઇટ કોન્ટ્રાક્ટ કરવાની દરખાસ્તોમાં ભાવ વધુ લાગતા રિટેન્ડર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ઉપયોગ માટેનાં ગાર્બેજ કન્ટેઇનરો, વાહનોમાં બોડીકામ/ફેબ્રીકેશન લગત રીપેરીંગ માટે નવો દ્વિ-વાર્ષિક રેઇટ કોન્ટ્રાક્ટ કરવાની દરખાસ્તને પણ રિટેન્ડર કરવામાં આવી છે. સાથે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાનાં મેલેરીયા વિભાગના ઉપયોગ માટેનાં ચાર નંગ વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન ખરીદ કરવા અંગેની દરખાસ્ત પણ રિટેન્ડર કરાઈ છે. જ્યારે શહેરના હાલના વોર્ડ નં. (5) અને જુના વોર્ડ નં.(7)માં રણછોડનગર શેરી નં.૧૦માં આવેલ રાજકોટ મનપાની માલિકીની માધ્યમિક શાળાનું મકાન સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટને લીઝ ઉપર આપવા અંગેની દરખાસ્ત સતત બીજીવાર પેન્ડિંગ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વે સંકલન બેઠક યોજાઇ હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખ માધવ દવેની હાજરીમાં મનપાનાં પદાધિકારીઓ અને તમામ નગરસેવકો વચ્ચે વિવિધ દરખાસ્તો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તહેવારોમાં થયેલી આતશબાજીનાં ખર્ચને લઈને કોર્પોરેટર નેહલ શુક્લ અને હોદ્દેદારો વચ્ચે મતભેદ થયાનું જાણવા મળ્યું હતું. જોકે ચેરમેન તેમજ કોર્પોરેટર નેહલ શુક્લ અને શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ આ બેઠકમાં કોઈપણ પ્રકારનું ઘર્ષણ થયું હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. અને માત્ર સામાન્ય ચર્ચા કરાઈ હોવાનું જણાવ્યું હતું.
મહેસાણામાં GJ-27-CM-4060 નંબરની કારના ચાલકે આતંક મચાવ્યો હતો. જેમાં તેણે કેટલાક લોકોને અડફેટમાં લીધા હતા અને વાહનોને ટક્કર મારી હતી. આ બેફામ કારચાલક મહેસાણા-ઊંઝા હાઇવે પરથી મહેસાણા શહેરમાં ઘૂસ્યો હતો. કારને રોંગ સાઇડ દોડાવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયોમળતી માહિતી મુજબ, કારચાલકને હાઇવે ઉપર ફત્તેપુરા બાયપાસ સર્કલ પાસે અને ત્યાર બાદ રાધનપુર ચોકડી પર સુરક્ષાકર્મીઓ દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે સુરક્ષાકર્મીઓને હાથતાળી આપીને તેની બેફામ કારને મહેસાણા શહેરમાં દોડાવી મૂકી હતી. શહેરમાં પ્રવેશ્યા બાદ આ કારચાલકે મગપરા અને ગોપીનાળા નજીક અન્ય બે વાહનોને ટક્કર મારી હતી. વધુમાં ગોપીનાળા વિસ્તારમાં તે કારને રોંગસાઈડ પર લઈ ગયો હતો, જેના કારણે ભયનો માહોલ સર્જાયો હતો. કારચાલક સ્થળ પર જ કાર મુકીને ફરારસુરક્ષાકર્મીઓએ આખરે કારને કોર્ડન કરીને રોકવામાં સફળતા મેળવી હતી. જોકે આ સમયે કારચાલક સાથે આવેલી મહિલાઓએ સુરક્ષાકર્મીઓને સહકાર આપવાના બદલે બેફામ બોલીને કારચાલકને ત્યાંથી ભગાડવામાં મદદ કરી હતી. કારચાલક અને તેની સાથે સવાર મહિલાઓ કારને સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ તાત્કાલિક કન્ટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી અને હવે સુરક્ષાકર્મીઓ દ્વારા ફરાર થયેલા કારચાલક અને મહિલાઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
વાંકાનેર: નાસ્તા બાબતે ઝઘડો થતાં પરિણીતાએ જીવન ટૂંકાવ્યુંવાંકાનેરના માટેલ ગામ નજીક આવેલા એસેન્ટ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. નાસ્તો કરવા જેવી નજીવી બાબતે પતિ સાથે ઝઘડો થતાં ૨૨ વર્ષીય પરિણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મળતી વિગતો મુજબ, મૃતક મહિલાની ઓળખ રીટાસીંગ ઘનશ્યામસિંગ આદિવાસી (ઉં.વ. 22) તરીકે થઈ છે, જેઓ મૂળ ઓરિસ્સાના બાલેશ્વર જિલ્લાના વતની હતા. તેઓ પતિ ઘનશ્યામસિંહ આદિવાસી સાથે સિરામિક કારખાનામાં મજૂરી કામ કરતા હતા. આશરે ચાર વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા. ઘટનાના દિવસે સવારે, પતિ-પત્ની વચ્ચે નાસ્તો કરવા બાબતે બોલાચાલી થઈ હતી. આ ઝઘડાથી રિસાઈ ગયેલા રીટાસીંગે, તેમના પતિ રૂમની બહાર ગયા તે દરમિયાન, પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે ખસેડ્યો હતો. મૃતકના પતિ ઘનશ્યામસિંહની જાણ પરથી પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હળવદ: સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયર ચોરીમાં વધુ સાત શખસની ધરપકડબીજી તરફ, હળવદ તાલુકા પોલીસે એક મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં વધુ સફળતા મેળવી છે. હળવદના કવાડિયા ગામે આવેલા સોલાર પ્લાન્ટમાંથી આશરે રૂ. 4 લાખની કિંમતના 1000 મીટર કોપર કેબલ વાયરની ચોરી થઈ હતી. અજાણ્યા શખ્સોએ કમ્પાઉન્ડ વોલ પરના ફેન્સિંગ તાર કાપીને આ ચોરીને અંજામ આપ્યો હતો, જે અંગે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે અગાઉ આ ગુનામાં સુલતાન ઉર્ફે કાનો દેકાવાડિયા, રવિ દેકાવાડિયા, રાજબહાદુર રાજપુત અને રાજુ ગુર્જર નામના ચાર શખ્સોની ધરપકડ કરી હતી. તપાસના ચક્રો ગતિમાન રાખતા, પોલીસ ટીમે આ ગુનામાં સંડોવાયેલા વધુ સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા નવા આરોપીઓમાં પ્રતાપભાઈ ઉર્ફે પીડી દાનુભાઈ લોદરીયા (રહે. સુખપર), તેમજ વિજયભાઈ વિભાભાઈ દેકાવાડિયા, સંજયભાઈ જગાભાઈ દેકાવાડિયા, કરણભાઈ બહાદુરભાઇ પંચાસરા, મુકેશભાઈ પ્રેમજીભાઈ અઘારા, ચંદુભાઈ જગાભાઈ વડેચા અને વિજયભાઈ ઉર્ફે હિતેશ પ્રેમજીભાઈ અઘારા (તમામ રહે. દેવપર સુખપર)નો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.
સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલી લાજપોર મધ્યસ્થ જેલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલના ઝડતી સ્ક્વોર્ડના જેલરે અચાનક લાજપોર જેલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ ઝડતી દરમિયાન એક બેરેકમાંથી પ્રતિબંધિત બે સિમકાર્ડ મળી આવતાં જેલ પ્રશાસનમાં હડકંપ મચી ગયો છે. ઝડતી સ્ક્વોર્ડના જેલર અચાનક ચેકિંગ માટે આવ્યાલાજપોર જેલમાં અનેક કુખ્યાત આરોપીઓ સહિત કાચા અને પાકા કામના મોટી સંખ્યામાં કેદીઓને રાખવામાં આવ્યા છે. અગાઉ પણ અનેક વખત ચેકિંગ દરમિયાન જેલમાંથી મોબાઈલ ફોન અને સિમકાર્ડ જેવી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચેકિંગની કાર્યવાહી ઓછી થઈ ગઈ હતી. આ દરમિયાન, અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલના ઝડતી સ્ક્વોર્ડના જેલર દેવશીભાઈ રણમલભાઈ કરંગીયા સુરતની લાજપોર જેલમાં અચાનક ચેકિંગ માટે પહોંચ્યા હતા. તેમની આગેવાની હેઠળની ટીમે જેલના જુદા જુદા યાર્ડ અને બેરેકોમાં સઘન ઝડતી શરૂ કરી હતી. વોશબેઝિનના નળ નીચે સંતાડેલા સિમકાર્ડ મળ્યાચેકિંગ દરમિયાન, યાર્ડ નંબર-2ની બેરેક નંબર-4માં તપાસ કરતાં, વોશબેઝિનના પીવીસીના નળની ઉપરના ઢાંકણા નીચે છુપાવેલાં બે સિમકાર્ડ મળી આવ્યાં હતાં. જેલર દેવશીભાઈએ તાત્કાલિક આ બંને સિમકાર્ડ જપ્ત કરી લીધાં હતાં અને તાત્કાલિક જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. તેમણે આ બંને સિમકાર્ડને જપ્ત કરીને ફિંગરપ્રિન્ટ્સ અને ડેટાની ચકાસણી માટે FSLમાં મોકલી આપ્યા છે. આ મામલે જેલર દેવશીભાઈ રણમલભાઈ કરંગીયાએ સચિન પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ પણ નોંધાવી છે. તેમની ફરિયાદમાં તેમણે એવી શક્યતા વ્યક્ત કરી છે કે FSLની ચકાસણી બાદ ઘણા ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.ફરિયાદમાં તેમણે પોલીસને ઊંડાણપૂર્વક તપાસ કરવા જણાવ્યું છે કે, હાલ તો સચિન પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. FSLનો રિપોર્ટ અને પોલીસની તપાસ જ દર્શાવશે કે આ સિમકાર્ડ કયા કેદીઓ દ્વારા ઉપયોગમાં લેવાયા હતા..
ગુજરાત હાઇકોર્ટમાં મહેસાણાથી અરજદાર પથુજી ઠાકોરે એડવોકેટ હર્ષ રાવલ મારફતે એક જાહેર હિતની અરજી દાખલ કરી હતી. અરજદાર પોતે નિવૃત પ્રિન્સિપાલ છે અને OBC વર્ગમાંથી આવે છે. જેમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકારે ગુજરાત લોકલ ઓથોરિટી અમેન્ડમેન્ટ એક્ટ 2023 લાવીને રાજ્યમાં જિલ્લા, તાલુકા, ગ્રામ પંચાયત અને લોકલ બોડીઝની અન્ય ચૂંટણીઓમાં OBC અનામત 10 ટકાથી વધારીને 27% કર્યું છે. ખરેખરમાં અધર બેકવર્ડ ક્લાસની વ્યાખ્યા સરકારી નોકરીઓમાં અનામતની જેમ પોલિટિકલ રિપ્રેઝન્ટેશનમાં કરી શકાય નહીં. આ અરજી સંદર્ભે હાઇકોર્ટમાં રાજ્ય સરકારે એફિડેવિટ ફાઇલ કરી હતી. હાઈકોર્ટે અરજદારની સિવિલ એપ્લિકેશન નકારી આ સુનવણી દરમિયાન અરજદારે પંચાયતોની ચૂંટણી રોકવા માટે અરજી કરી હતી. જેમાં કોર્ટે અરજદારને કોઈ રાહત આપી નહોતી. પરંતુ અરજદારે હવે આગામી લોકલ બોડીની ચૂંટણીઓ અંગે રાજ્ય ચૂંટણી પંચે જે અનામત બેઠકો ઉપર રોટેશનનો આદેશ બહાર પાડ્યો છે, તેને રદ્દ કરવા માંગ કરી હતી. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે, આ પોલિસી મેટર છે. સિવિલ એપ્લિકેશનમાં તમે રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ કેટલી રાહત માંગી છે, પરંતુ મૂળ અરજીમાં સુધારો કર્યા નથી, મૂળ અરજીમાં આ સંદર્ભની કોઈ રાહત માંગવામાં આવી નથી. સુધારા વગર કોર્ટ કોઈ નિર્દેશ આપી શકે નહીં. હાઇકોર્ટે અરજદારને અરજી અમેન્ડ કરવાની છૂટ આપીને, તેની સિવિલ એપ્લિકેશન અરજી નકારી નાખી છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ જે તે વિસ્તારમાં વસ્તીના આધારે OBCને બેઠકો ફાળવવી જોઈએ. જો તે વિસ્તારમાં OBCની સંખ્યા વધુ હોય તો 50 ટકાથી અનામત વધે નહીં તે રીતે પણ બેઠકો ફાળવી શકાય અને ઓછી સંખ્યા હોય તો ઓછી બેઠકો ફાળવવી જોઈએ. બેકવર્ડ ક્લાસમાં પોલિટિકલ રીપ્રેઝન્ટેશનમાં જાતિઓની ઓળખ અમે સંખ્યા માટે ઝવેરી કમિશનની રચના કરવામાં આવી હતી. જેને ડીસોલ્વ કરી નાખવામાં આવ્યું છે. અરજદારના જણાવ્યા મુજબ કેબિનેટની સબ કમિટીએ કમિશનના સૂચનોને અનુસર્યા વગર અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુસર્યા વગર યુનિફોર્મ રિઝર્વેશનનું સમર્થન કર્યું હતું. સ્થાનિક સ્વરાજ્યમાં બેઠકો ફાળવવામાં ફિક્સ અનામતથી સામાન્ય વર્ગ અને SC, ST અને OBC ને નુકશાન જઈ રહ્યું છે. કમિશનનો રિપોર્ટ માર્ગદર્શન હોય શકે, બંધનકર્તા નહીં- હાઈકોર્ટઆમ અરજદારે ગુજરાત લોકલ ઓથોરિટી લો અમેન્ટમેન્ટ એક્ટ 2023ને હાઇકોર્ટમાં ચેલેન્જ કર્યો છે. આ સુધારાને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ભંગ ગણાવ્યો છે. ઝવેરી કમિશનના રિપોર્ટને આ સુધારો કરતા ધ્યાને લેવામાં આવેલ નથી, વળી કમિશનો રિપોર્ટ પબ્લિક ડોમેનમાં નથી તેમ જણાવ્યું છે. હાઇકોર્ટે કહ્યું હતું કે કમિશનનો રિપોર્ટ માર્ગદર્શક હોઈ શકે, બંધનકર્તા નહીં. જો કે હાઇકોર્ટે આ મામલે રાજ્યના ચૂંટણી પંચ અને સરકારને નોટિસ આપી હતી.
કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયાએ દિલ્હીમાં થયેલાં કાર વિસ્ફોટને લઈને બે મિનિટનું મૌન પાળી મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દોડ, કુદ અને ફેંક વિભાગની ઇવેન્ટ તેમજ મનોરંજન રમતોની અંદર રમતવીરો પોતાનું કૌવત બતાવશે આજરોજ ભાવનગર શહેરના સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સાંસદ ખેલ મહોત્સવ-2025નો સાદાઈથી શુભારંભ કરાયો હતો. જેમાં દિવ્યાંગ ખેલાડીઓએ દોડ, કુદ અને ફેંક વિભાગની ઇવેન્ટ તેમજ મનોરંજન રમતોની અંદર પોતાનું કૌવત બતાવ્યું હતું. શહેરના શીત્તર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે દિવ્યાંગ ખેલાડીઓ માટે સાંસદ ખેલ મહોત્સવમાં વિવિધ પાંચ કેટેગરીમાં શારીરિક ક્ષતિગ્રસ્ત, માનસિક ક્ષતિગ્રસ્ત, બ્લાઇન્ડ ડેફ કેટેગરી અને સેરેબલ પલ્સી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત તાલુકા પંચાયત સીટ, તાલુકા/ ઝોન સ્પર્ધા તેમજ જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આગામી દિવસોમાં આયોજન કરવામાં આવશે. આ રમતોમાં એથ્લેટીક્સ 50 મીટર અને 100 મીટર દોડ, લાંબીકૂદ, ગોળાફેંક, બાસ્કેટબોલ, કબડ્ડી, રસ્સાખેંચ, ખો-ખો, સંગીતખુરશી (બહેનો), લીંબુ ચમચી, સ્લો સાઇકલ, સિક્કા શોધ, વોલીબોલ, નાર્ગેલ અને કોથળા દોડ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 14 વર્ષ સુધીના, 15 થી 20 વર્ષના લોકો, 21 થી 35 વર્ષના લોકો, 36 થી 50 અને 51 થી વધુ ઉંમરના લોકો ભાગ લીધો હતો, કુલ પાંચ કેટેગરીમાં 450 થી વધુ દિવ્યાંગ ખેલાડીએ ભાગ લઈ પોતાનું કૌવત બતાવ્યું હતું. તા.16,17 અને 18 ડિસેમ્બરથી શક્તિ કેન્દ્રો ખાતે, તા.20,21,22 ડિસેમ્બરથી તાલુકા અને ઝોનલ કક્ષાની રમતનું આયોજન તેમજ તા.25 ડિસેમ્બરના રોજ સાંસદ ખેલ મહોત્સવનું સમાપન કરવામાં આવશે. આ વેળાએ કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા, મેયર ભરતભાઈ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મીયાણી, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક નીતીશ પાંડેય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઇ રાબડીયા, આગેવાન દિગ્વિજયસિંહ ગોહિલ, કુમાર શાહ, જિલ્લા રમતગમત અધિકારી નરેશભાઈ ગોહિલ, જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ સહિત ઉપસ્થિત સૌએ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલાં કાર વિસ્ફોટને લઈને બે મિનિટનું મૌન પાળી, મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
ભરૂચમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ:મામલતદારની અધ્યક્ષતામાં બી.એલ.ઓ. દ્વારા ડોર-ટુ-ડોર સર્વે
ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના પાંચ વિધાનસભા મતવિસ્તારો જંબુસર,વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વરમાં વિશેષ મતદાર યાદી સુધારણા (એસ.આઈ.આર.) કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ કામગીરીની દેખરેખ ભરૂચ ગ્રામ્ય મામલતદાર માધવી મિસ્ત્રીની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવી છે. કાર્યક્રમ અંતર્ગત કુલ 1344 મતદાન મથકોના 1344 બી.એલ.ઓ.અધિકારીઓ તા. 04 નવેમ્બરથી 11 ડિસેમ્બર 2025 દરમ્યાન 13 લાખ 10 હજાર 600 મતદારો સુધી પહોંચીને “ડોર ટુ ડોર” સર્વે હાથ ધરશે. નંદેલાવ ગ્રામ પંચાયતથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી,જ્યાં ગ્રામજનો અને સોસાયટીઓના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. મતદારોની વિગતોની ચકાસણી, નવા મતદારોના ફોર્મ સ્વીકારવા તેમજ સુધારણા સંબંધિત કામગીરી માટે બી.એલ.ઓ.ઓ. સક્રિય રીતે કામે લાગી ગયા છે. ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, “મતદાર યાદી સુધારણા કામગીરી ચૂંટણી પંચના લોકશાહી મિશનની મુખ્ય કડી છે. દરેક પાત્ર નાગરિકનું નામ યાદીમાં સમાવિષ્ટ થાય તે માટે ગ્રામજનોનું સહયોગ મહત્વપૂર્ણ છે. ભરૂચ જિલ્લામાં કામગીરી સુચારૂ રીતે આગળ વધે તે માટે તાલુકા સ્તરે ટીમો નિમાઈ છે અને તમામ વિભાગો વચ્ચે સંકલનથી સર્વે કાર્ય તેજ ગતિએ આગળ વધી રહ્યું છે.
દિલ્હી કાર વિસ્ફોટ, પાટણ જિલ્લામાં એલર્ટ:રાણકીવાવ સહિત સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું સઘન ચેકિંગ
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક એક ચાલતી કારમાં થયેલા વિસ્ફોટ બાદ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાને તાત્કાલિક એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે. જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. આ એલર્ટના ભાગરૂપે, જિલ્લાના સંવેદનશીલ અને જાહેર સ્થળોએ સુરક્ષાના પગલાં વધારવામાં આવ્યા છે. ખાસ કરીને વિશ્વ વિરાસત સ્થળ રાણકીવાવ ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાણકીવાવ ખાતે પાટણ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વૉડ દ્વારા સંયુક્ત રીતે સઘન ચેકિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ ટીમે રાણકીવાવની આજુબાજુની અવાવરુ જગ્યાઓ, બહારનું અને અંદરનું પાર્કિંગ, રોડ સાઇડના વિસ્તારો અને સમગ્ર વાવની સંપૂર્ણ તપાસ કરી હતી. સઘન ચેકિંગ દરમિયાન કોઈ પણ પ્રકારની શંકાસ્પદ ચીજવસ્તુ કે સામગ્રી મળી આવી ન હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા રાણકીવાવ ખાતેનું ચેકિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસે લોકોને શાંતિ જાળવવા અને કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.
ગીર રાષ્ટ્રીય ઉદ્યાનના કમલેશ્વર ડેમ વિસ્તારમાં સિંહોના બે ગ્રુપ વચ્ચે વર્ચસ્વની લડાઈ થતાં જંગલમાં ભય અને ઉત્તેજનાનો માહોલ સર્જાયો હતો. એક ગ્રુપના નરસિંહે અન્ય વિસ્તારમાંથી આવી ચડેલી સિંહણને ભગાડવા માટે તેના પર હુમલો કરતાં આખું જંગલ સિંહ-સિંહણની પ્રચંડ ત્રાડોથી ગુંજી ઉઠ્યું હતું. વિસ્તારનું વર્ચસ્વ જાળવવાની લડાઈસાસણ વન વિભાગના જણાવ્યા મુજબ, કમલેશ્વર ડેમ વિસ્તારના ચારચોક વિસ્તારમાં દસ સિંહોનું એક ગ્રુપ ફરે છે, જેમાં બે નરસિંહ, ચાર સિંહણ અને ચાર સિંહબાળનો સમાવેશ થાય છે. આ ગ્રુપ પોતાના વિસ્તારમાં હતું ત્યારે કેરંભા વિસ્તારમાંથી એક સિંહણ ત્યાં આવી ચડી હતી. પોતાના વિસ્તારમાં અન્ય ગ્રુપની સિંહણનું આગમન થતાં, ગ્રુપના એક નરસિંહે તરત જ તેને ભગાડવા માટે તેની સાથે લડાઈ શરૂ કરી દીધી હતી. વર્ચસ્વ જાળવી રાખવા માટેની આ લડાઈ લાંબા સમય સુધી ચાલી હતી. આખરે, અન્ય ગ્રુપની સિંહણ પોતાનો વિસ્તાર છોડીને પરત ચાલી ગઈ હતી. પ્રવાસીઓએ કેમેરામાં વીડિયો કેદ કર્યો આ સમગ્ર 'ઇનફાઇટ' સેન્ચુરીમાં સિંહ દર્શન કરવા ગયેલા પ્રવાસીઓએ જોઈ હતી. સિંહ-સિંહણની આ ભીષણ લડાઈ જોઈને પ્રવાસીઓ પણ થથરી ઉઠ્યા હતા. કેટલાક પ્રવાસીઓએ આ લડાઈનો વીડિયો પોતાના કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો, જે જોઈને લોકોમાં આશ્ચર્ય અને દંગ રહી જવાની લાગણી ફેલાઈ હતી. કોઈને ઈજા ન થયાની વન વિભાગની સ્પષ્ટતા આ ઘટના અંગે સાસણ વન વિભાગના સ્વાગતી રેન્જના આરએફઓ બી.આર. રાઠોડે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે કમલેશ્વરના ચારચોક વિસ્તારમાં અન્ય ગ્રુપની સિંહણ આવી જવાને કારણે આ લડાઈ થઈ હતી. આરએફઓ રાઠોડે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, આ લડાઈ બચ્ચાં માટે કે મેટિંગ માટે નહોતી, પરંતુ માત્ર પોતાના વિસ્તારમાંથી અન્ય સિંહણને ભગાડવા માટે થઈ હતી. તેમણે ઉમેર્યું કે આ ઇનફાઇટમાં કોઈ જનાવરને ઈજા થઈ નથી. સિંહ પ્રજાતિમાં પોતાના વિસ્તારમાં વર્ચસ્વ જાળવી રાખવા માટે થતી આવી લડાઈ તેમની પ્રાકૃતિક વ્યવસ્થાનો એક ભાગ છે.
વડોદરાના શાસ્ત્રી બ્રિજ પાસે આવેલા જ્યોતિ ગાર્ડનમાં મળેલી બરોડા ક્રિકેટ એસોસિયેશન(BCA)ની AGM (વાર્ષીક સામાન્ય સભા) માત્ર 15 મીનિટમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી અને તમામ 9 એજન્ડાને બહુમતીથી પાસ કરી દેવામાં આવ્યા હતા. જેની સામે સત્યમેવ જયતે ગ્રુપે AGMમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને આજની AGMને ફિયાસ્કો શરમજનક અને લોકશાહીની હત્યા સમાન ગણાવી હતી. આજની AGMમાં મહત્ત્વના બે એજન્ડા હતાબરોડા ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ પ્રણવ અમીને જણાવ્યું હતું કે, આજની AGMમાં મહત્ત્વના બે એજન્ડા હતા. એક તો હિસાબો પાસ કરવાના અને ઓડિટર અપોઇન્ટ કરવાનું હતું. આજના એજન્ડા બહુમતીથી પાસ થયા છે. 90 ટકા લોકોએ સપોર્ટ કર્યો હતો. માત્ર 15થી 20 લોકો ખુશ નહોતા. અમુક લોકો બૂમો પાડતા હતા, જ્યારે બાકીના લોકોનું વર્તન સારું હતું. આગામી બે મહિનામાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેન્સ વનડે મેચ પણ કોટંબી સ્ટેડિયમમાં રમાવાની છે. અમે તેના માટે તૈયાર છીએ, આપણને WPL મળવાની પણ શક્યતા છે. રમુખ પદનો ઉમેદવાર ચૂંટણી આવશે એટલે જાહેર કરીશુંસત્યમેવ જયતે ગ્રુપના આક્ષેપો અંગે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આપણા ક્રિકેટ માટે રૂપિયા વાપરી રહ્યા છે અને ક્રિકેટના ડેવલપમેન્ટ માટે એ ખૂબ જરૂરી છે. સમરજીતસિંહ ગાયકવાડ અમારી સાથે જ છે અને અમે ક્રિકેટના ફાયદા માટે જ કામ કરીએ છીએ. અમારું ગ્રુપ ખૂબ જ પોઝિટવ અને ટ્રાન્પરન્ટ છે. અમે અમારો પ્રમુખ પદનો ઉમેદવાર ચૂંટણી આવશે એટલે જાહેર કરીશું, અત્યારે જાહેર કરવો યોગ્ય નથી. 9 એજન્ડા પર ચર્ચા કર્યા વગર પાસ કરી દઈ મિટિંગ પુરી કરી દેવાઈબરોડા ક્રિકેટ એસોસિયેશનના સભ્ય અને સત્યમેવ જયતે ગ્રુપના આગેવાન ડો. દર્શન બેંકરે જણાવ્યું હતું કે, આજની AGM ફિયાસ્કો હતો અને શરમજનક હતી. AGMમાં એક એજન્ડા પર ચર્ચા થાય અને તેની ઉપર દરેક મેમ્બરનો ઓપનિયન લેવાય અને પછી એની પર વોટીંગ થાય, પણ આજના 9 એજન્ડા પર ચર્ચા થઈ જ નથી અને કોઇને બોલ્યા દેવામાં આવ્યા નથી અને એજન્ડા મુક્યો અને પાસ કરી દીધો, એમ કરીને 15 મિનિટમાં AGM પૂરી કરી દેવાઇ છે. આ પ્રકારની AGM અમે ક્યારેય જોઇ નથી. આ દુઃખ દાયક ઘટના છે. 'અમે પ્રેસ કોન્ફરન્સ કરવા ગયા તો BCAનું બોર્ડ ઉતારી લીધું'તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે પ્રેમ કોન્ફરન્સ કરવા ગયા તો બરોડા ક્રિકેટ એસોસિયેશનનું બોર્ડ ઉતારી લીધું. અમે પણ બીસીએના મેમ્બર છીએ. અમારો પણ બીસીએ પર હક છે. આ લોકશાહી નથી. આ રાજશાહી છે અને એક હથ્થુ શાસન છે. AGMમાં ટ્રાન્સપરન્સી અને લોકશાહીનું ખૂન કરી દેવાયુંબીસીએના ઓર્ડિનરી મેમ્બર કલ્પેશ પરમારે જણાવ્યું હતું કે, આ AGMમાં ટ્રાન્સપરન્સી અને લોકશાહીનું ખૂન કરી દેવાયું છે. કોટંબી સ્ટેડિયમ પાછળ 342 કરોડ રૂપિયા ખર્ચ કર્યો, એન્યુઅલ રિપોર્ટમાં તેનો હિસાબ માત્ર 4 લાઇનમાં લખ્યો છે. 10 લાખથી વધુના ખર્ચ વેબસાઇટ પર મુકવા જોઇએ, પણ તે ક્યારેય મુકવામાં આવ્યા નથી. AGM પણ લાવ્યા નથી. કોઇ મેમ્બરને બોલવા દેવાતા નથીબીસીએના સભ્ય જતીન વકીલે જણાવ્યું હતું કે, આ લોકો ચૂંટણી લાવતા નથી. સમયસર AGM પણ લાવ્યા નથી. કોઇ મેમ્બરને બોલવા દેવાતા નથી. એમના ઓપિનિયન આપતા દેવાતા નથી. એમના ગ્રુપના મેમ્બરોએ હાથ ઉંચા કરીને એજન્ડા પાસ કરી દીધા છે.
જામનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે 5000થી વધુ મહિલાઓનું એક વિશાળ સંમેલન યોજાયું હતું. ગુરુહરિ મહંતસ્વામી મહારાજના આગમન નિમિત્તે આયોજિત વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે આ સંમેલનનું આયોજન થયું હતું. મને પ્રગટ મળ્યા પુરુષોતમ આજ એ મધ્યવર્તી વિચાર સાથે જામનગર, ખંભાળિયા, ભાણવડ અને જામજોધપુર સહિતના વિસ્તારોમાંથી મહિલાઓ ઉમટી પડી હતી. સંમેલનનો પ્રારંભ મંગળાચરણ અને પ્રાર્થનાથી થયો હતો. સભાગૃહને વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને 101 વાનગીઓનો અન્નકૂટ પ્રસાદ ધરાવાયો હતો. BAPSની બાલિકાઓએ અદ્ભુત સ્વાગત નૃત્ય રજૂ કરીને સૌનું સ્વાગત કર્યું હતું. સાંસ્કૃતિક પ્રસ્તુતિઓમાં સહજાનંદ નામાવલી પર 52 બાલિકાઓ દ્વારા રજૂ કરાયેલા ક્લાસિકલ નૃત્યે સૌના મન મોહી લીધા હતા. આ ઉપરાંત, 56 યુવતીઓએ સપનું છે કે શું રાસની સુંદર રજૂઆત કરી હતી. BAPS વિદ્યામંદિરની 21 બાલિકાઓએ નૃત્ય, એકપાત્રીય અભિનય, સ્કીટ અને સંવાદોની આબેહૂબ પ્રસ્તુતિ કરી હતી. આ પ્રસંગે ભૂતપૂર્વ મંત્રી અને રાજ્ય શિક્ષણ મંત્રી વસુબેન ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, આર.એફ.ઓ. દક્ષાબેન વાઘાસિયા, BAPS સંસ્થા મોરબી ક્ષેત્રના સંયોજક ઉર્મિલાબેન આસર, મહિલા કોર્પોરેટરો અને અન્ય વિશિષ્ટ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વિશાળ મહિલા સંમેલન દ્વારા BAPSની બાલિકાઓ, યુવતીઓ અને મહિલાઓએ શિક્ષણ, સંસ્કાર અને સદાચાર એ નારીની શોભા છે તથા પ્રગટ ભગવાનના સાનિધ્યથી તમામ સમસ્યાઓના સમાધાન પ્રાપ્ત થાય છે તેવો સુંદર પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો.
અમરેલીમાં ફરજ બજાવતા એક પોલીસકર્મી સામે તેમની પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પત્નીએ પતિ પર શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ મુજબ, પતિને અન્ય મહિલાઓ સાથે સંબંધ હોવાની જાણ થતાં પત્ની છેલ્લા પાંચ વર્ષથી તેમને રોકટોક કરતા હતા. આ બાબતે પતિએ પત્નીને વાસણ સાફ કરવા બાબતે પણ ત્રાસ આપ્યો હતો. આરોપ છે કે પતિ અને એક વ્યક્તિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમને શરીર પર મૂંઢમાર વાગ્યો હતો, જમણા હાથની પહેલી આંગળી અને જમણા ગાલ પર નખોરિયા ભરવામાં આવ્યા હતા. વાળ ખેંચી ગળાટૂંપ આપી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસ કર્મચારી અગાઉ પણ વિવાદોમાં સપડાયો હતો. ફરજમાં બેદરકારી બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને અન્ય જિલ્લામાં બદલી પણ થઈ હતી. તેની પત્ની દ્વારા ફરિયાદ નોંધાવાતા તે ફરી ચર્ચામાં આવ્યો છે.
જય ચામુંડા માઁજય શ્રીક્રિષ્ના ‘મારી ઈચ્છા છે કે મારી બચતમાંથી અશ્વિનભાઈ સોલંકી જે પેલેટીવ-કેર હોસ્પિટલ બનાવે છે, એમાં 1000 રૂપિયા હું આપીશ અને બચત પ્રમાણે આપતી રહીશ...’ આ શબ્દો છે રાજકોટની કેન્સર કેર ફાઉન્ડેશનની સભ્ય અને ખભામાં કેન્સરની ગાંઠને લીધે મૃત્યુ પામેલી ક્રિષ્ના અબાસાણીયાના. જન્મના 14 વર્ષ બાદ આ દીકરીને જમણાં ખભામાં કેન્સરની ઝેરી ગાંઠ હોવાનું નિદાન થયું હતું. દીકરી કેન્સરના ચોથા સ્ટેજમાં હતી અને તબીબોએ કહ્યું હતું કે, તેના બચવાના કોઈ ચાન્સ નથી. તેમ છતાં પણ મજૂરી કામ કરતા પિતાએ દીકરીને સાજી કરવા માટે હોસ્પિટલમાં સાડા ચાર લાખનો ખર્ચ કર્યો. છેલ્લે નાણા ખૂંટી જતા શહેરના કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા પરિવારને આર્થિક સહાય કરવામાં આવી. આમ છતાં પણ દીકરીનું સપ્ટેમ્બર, 2025માં મૃત્યુ થયુ. દીકરીના મૃત્યુ બાદ તેના પુસ્તકોની તપાસ કરતા દીકરીએ લખેલી છેલ્લી ચિઠ્ઠી વાંચીને માતા-પિતા રડી પડ્યાં. હવે ક્રિષ્નાના માતા-પિતાનું જીવનમાં એક જ લક્ષ્ય છે કે કેન્સરના ચોથા સ્ટેજના દર્દીઓ માટે નિર્માણ પામી રહેલી પેલેટીવ-કેર હોસ્પિટલ બને અને તે માટે યથાશક્તિ પ્રમાણે યોગદાન આપવું. આ સાથે માતા-પિતાએ અન્યોને પણ તેમાં આર્થિક સહયોગ આપવા અપીલ કરી છે. રાજકોટના કેન્સર કેર ફાઉન્ડેશન સાથે જોડાયેલા અને મૂળ મોરબીના વાંકાનેર તાલુકાના ધમલપર ગામના રહેવાસી સુરેશભાઈ અબાસાણીયાએ જણાવ્યું હતું કે, મારા પત્નીનું નામ રૂપા છે અને મારી 14 વર્ષની દીકરી ક્રિષ્નાને વર્ષ 2023માં જમણા ખભામાં ગાંઠ થઈ હતી. જે બાદ ત્યાંથી દવા લીધી, પરંતુ સારું થયું નહીં. અમારા એક સગાના કહેવાથી અમે રાજકોટ હોસ્પિટલમાં દીકરીને બતાવવા માટે લઈ આવ્યા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સોનોગ્રાફી બાદ અમને કહેવામાં આવ્યું કે, દીકરીની તબિયત ખરાબ થતી જાય છે, જેથી તમે અમદાવાદ જાઓ. જ્યાં અમે ગયા પરંતુ, ત્યાં સમય વધુ થાય તેમ હતો અને ગાંઠ વધતી જતી હતી, જેથી અમે રાજકોટની નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં દીકરીને દાખલ કરી. અહીં ડૉ. ઢોલરીયાને બતાવ્યું અને તેમના કહેવાથી અમદાવાદથી આવતા હાડકાના ડોક્ટર દ્વારા રિપોર્ટ કરાવવામાં આવ્યા. જે રિપોર્ટ બાદ ડોક્ટરે મને કહ્યું કે, તમારી દીકરીને કેન્સરની ઝેરી ગાંઠ છે. ચોથા સ્ટેજમાં કેન્સર છે, જેથી દીકરીને બચાવવાના કોઈ જ ચાન્સ નથી. જેથી ડોક્ટરના કહેવાથી ચાર ડોઝ લઈ ઓપરેશન કરાવ્યું. જે બાદ તબીબે કહ્યું કે, દીકરીનો એક હાથ કાઢવો પડશે અને તે પછી 12 ડોઝ લેવા પડ્યા. જોકે, પાંચ ડોઝ બાકી હતા ત્યારે મારી પાસે પૈસા ખૂટી ગયા હતા, જેથી હું રડવા લાગ્યો. જે બાદ મારો અશ્વિનભાઈ સોલંકી સાથે સંપર્ક થયો. જે બાદ અશ્વિનભાઈ ત્યાં આવ્યા અને કહ્યું કે તમારી દીકરી એ મારી દીકરી છે અને તેનો તમામ ખર્ચો હું આપીશ. જે બાદ અશ્વિનભાઈએ કહ્યું કે, હું કેસરના ચોથા સ્ટેજના દર્દીઓને સારવાર મળે તે માટે પેલેટીવ-કેર બનાવી રહ્યો છું. જેથી મારી દીકરી ક્રિષ્નાએ કહ્યું હતું કે, હું તમારે ત્યાં આટો મારવા આવીશ. જોકે બાદમાં ડોક્ટરે કહ્યું કે, કૃષ્ણ હવે ડોઝ લઈ શકે તેમ નથી, જેથી તેની ઘરે સારવાર કરો. ડોઝ બંધ કર્યા બાદ ક્રિષ્ના 15 દિવસ અમારી સાથે રહી. જે બાદ દુખાવો ઉપડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવતો હતો, ત્યારે કુવાડવા પહોંચતા ક્રિષ્નાએ દમ તોડી દીધો હતો. જે બાદ ધોરણ 10માં ભણતી ક્રિષ્નાના સ્કૂલના ચોપડા અમે જોઈ રહ્યા હતા, ત્યારે અમને ક્રિષ્નાના અક્ષરે લખેલી એક ચિઠ્ઠી મળી. જેમાં લખ્યું હતું કે, અશ્વિનભાઈ જે પેલેટીવ કેર બનાવે છે તેમાં મેં ભેગા કરેલા રૂ.1000 આપી દેજો. હજુ પણ હું જીવતી રહીશ તો મેં જેટલી બચત કરેલી હશે તે પેલેટીવ-કેરમાં આપીશ, જેથી કેન્સરના દર્દીઓ બચી શકે. જે ચિઠ્ઠી વાંચીને અમારી આંખમાં આંસુ આવી ગયા અને હાથના રૂવાડા ઊભા થઈ ગયા. ક્રિષ્નાનું મૃત્યુ થયું ત્યાં સુધી મેં તેને કહ્યું નહોતું કે તેને કેન્સર છે. હું ખોટું બોલ્યો હતો, તેમ છતાં અમારી દીકરીએ મેં કહેલું માની લીધું હતું. હવે અમારું જીવનમાં એક જ લક્ષ્ય છે કે, કેન્સરના ચોથા સ્ટેજના દર્દીઓ માટે જે પેલેટીવ-કેર નિર્માણ થઈ રહ્યું છે, તેમાં અમે યથાશક્તિ ફાળો આપશું અને અન્ય લોકોને પણ તેમાં યોગદાન આપવા માટે અપીલ કરશું.
રાજકોટનાં લોકો લાંબા સમયથી ખરાબ રસ્તાઓની સમસ્યાથી પરેશાની ભોગવી રહ્યા છે. જોકે હવે લોકોની આ મુશ્કેલીનો ટૂંક સમયમાં અંત આવશે. આજે મેયરની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઇ હતી. જેમાં ફેબ્રુઆરી સુધીમાં શહેરભરના તમામ રોડ-રસ્તાઓનું નવીનીકરણ કરવા અધિકારીઓને મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેને આદેશો આપ્યા છે. આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરએ જણાવ્યું હતું કે, રાજકોટનાં રોડ-રસ્તાનું નવીનીકરણ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરાશે. જેમાં રસ્તાઓનું પેચવર્ક અને જરૂર પડ્યે નવા બનાવવામાં આવશે. ચેરમેન ઠાકરે જણાવ્યું હતું કે, RMC માં ભાજપના શાસકો દ્વારા વર્ષમાં બે વખત રોડ બનાવવામાં આવે છે એક માર્ચમાં અને બીજો દિવાળીની આસપાસ. જોકે, આ વર્ષે ગુજરાત અને રાજકોટમાં આવેલા કમોસમી વરસાદને કારણે રોડના કામો સમયસર થઈ શક્યા નથી, કારણ કે વરસાદના કારણે ડામરનો પ્લાન્ટ બંધ રાખવો પડે છે. વરસાદને કારણે જ્યાં રોડ પર ખાડાપડ્યા છે અને જ્યાં પાઇપલાઇનના કામો પૂર્ણ થયા છે, ત્યાં હવે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આજે મેયરની અધ્યક્ષતામાં ડેપ્યુટી કમિશનરો અને તમામ ઝોનના સિટી ઇજનેરોને બોલાવી કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. તેમાં જ્યાં જરૂર જણાશે ત્યાં રોડ નવા બનાવાશે અને જ્યાં ફક્ત ખાડા પડ્યા છે, ત્યાં પેચવર્ક કરીને માર્ગોને તાત્કાલિક રીપેર કરવામાં આવશે. ખાસ કરીને પાઇપલાઇનના કામ બાદ રોડ બેસી ન જાય તે માટે હાલ પૂરતું પેચવર્ક કરીને રસ્તો વાહનવ્યવહાર માટે યોગ્ય બનાવાશે, અને ત્યારબાદ આવતા વર્ષે નવા રોડનું કામ હાથ ધરાશે. આ તમામ કામગીરી ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જેથી રાજકોટની જનતાને રોડ-રસ્તાને લઈ કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.
તહેવારોની મોસમ હોય કે સામાન્ય દિવસો પનીર એ ભારતીય પરિવારોના ભોજનનો એક અભિન્ન હિસ્સો છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે પનીર ખાઈ રહ્યા છો તે અસલી છે કે નકલી? સુરતમાં ધીમા ઝેરના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરતની જાણીતી 'સુરભી ડેરી' ના બે યુનિટ પર દરોડા પાડી એસઓજીએ કુલ 955 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. જ્યારે આ ડેરી રોજેરોજ 200 કિલો નકલી પનીર બજારમાં મોકલતી હતી. સૌથી ગંભીર બાબત એ છે કે, ડેરીના સંચાલકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ કબૂલી લીધું હતું કે આ પનીર નકલી છે. આ ડેરી રોજેરોજ આશરે 200 કિલો નકલી પનીર સુરતના બજારમાં ઠાલવી રહી હતી, જે અસલી પનીરના ભાવ કરતાં અડધી કિંમતે 250થી 270 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતું હતું. જેમાં નકલી પનીર બનાવવા ગ્લેશિયલ એસેટિક એસિડનો ઉપયોગ કરતાં. આ એસિડનો ઉપયોગ દૂધને ફાડીને ઝડપથી પનીર બનાવવા માટે થતો હોવાની આશંકા છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાનકારક છે. 'સુરભી ડેરી'ના ખટોદરા ગોડાઉનમાં 755.621 કિગ્રા પનીરનો જથ્થોસુરત એસઓજીના ડીસીપી રાજદીપ સિંહ નકુમને બાતમી મળી હતી કે શહેરમાં કેટલાક તત્વો નકલી ડેરી ઉત્પાદનો વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે. આ બાતમીના આધારે, SOGની ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખીને 'સુરભી ડેરી' પર તવાઈ બોલાવી હતી, જે મૂળ અડાજણની હોવાનું જાણવા મળ્યું છે. SOGની ટીમે સૌ પ્રથમ સુરતના ખટોદરા પોલીસ હદ વિસ્તારમાં આઈ.એન.એસ. હોસ્પિટલની પાછળ આવેલા સોરઠીયા કંપાઉન્ડમાં દુકાન નંબર 434 ખાતેના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. આ ગોડાઉન 'સુરભી ડેરી' દ્વારા વિતરણ કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાતું હતું. દરોડા સમયે, ગોડાઉન પર ડેરીના સંચાલક શૈલેષભાઈ છગનભાઈ પટેલ હાજર મળી આવ્યા હતાં. પોલીસે જ્યારે ગોડાઉનની તલાશી લીધી, ત્યારે ત્યાંથી 755.621 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો, જેની કિંમત રૂપિયા 1,81,343 આંકવામાં આવી છે. આ પનીર પ્લાસ્ટિકના પેકિંગમાં વેચાણ માટે તૈયાર રખાયું હતું.પોલીસે શૈલેષભાઈની કડકાઈથી પૂછપરછ કરતાં, તેમણે કબૂલ્યું કે આ તમામ જથ્થો વેચાણ માટે તેમના મુખ્ય મેન્યુફેક્ચરિંગ યુનિટ, જે ઓલપાડના સાયણ ખાતે આવેલું છે, ત્યાંથી મંગાવવામાં આવ્યો હતો. 'સુરભી ડેરી'ના મુખ્ય મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ધીમું ઝેર બનતુંખટોદરાથી મળેલી માહિતીના આધારે, SOGની ટીમ, ફૂડ સેફ્ટી ઓફિસર અને ઓલપાડ પોલીસને સાથે રાખીને તાત્કાલિક ઓલપાડ તાલુકાના સાયણ ખાતે, શેખપુર ફાટકની બાજુમાં આવેલ લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ નંબર 1, 2, અને 3 પર ધસી ગઈ હતી. આ 'સુરભી ડેરી'નું મુખ્ય મેન્યુફેક્ચરિંગ યુનિટ હતું, જ્યાં આ ધીમા ઝેરનું ઉત્પાદન થતું હતું. ફેક્ટરી પર દરોડા સમયે, ડેરીના ભાગીદાર અને મુખ્ય સંચાલક કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ હાજર મળી આવ્યા હતાં. અહીંનું દ્રશ્ય વધુ ભયાનક હતું. ફેક્ટરીમાંથી નકલી પનીર બનાવવા માટે વપરાતી સામગ્રી અને અન્ય શંકાસ્પદ ડેરી ઉત્પાદનોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. 200 કિલોગ્રામ શંકાસ્પદ પનીરપોલીસે કૌશિકભાઈ પટેલને સાથે રાખીને ફેક્ટરીની તલાશી લેતા, ત્યાંથી શંકાસ્પદ ડીલાઈટ તૈયાર બટરનો 420 કિલોગ્રામ જથ્થો (કિંમત રૂ. 58,800 ), 600 લિટર શંકાસ્પદ દૂધ (કિંમત રૂ. 43,200 ), 90 લિટર શંકાસ્પદ તેલ (કિંમત રૂ. 13,509 ) અને વધુ 200 કિલોગ્રામ શંકાસ્પદ પનીર (કિંમત રૂ. 4800 ) મળી આવ્યું હતું. નકલી પનીર બનાવવા ગ્લેશિયલ એસેટિક એસિડનો ઉપયોગ કરતાંઆ ઉપરાંત, પનીર બનાવવા માટે વપરાતું કેમિકલ 7 લિટર 'ગ્લેશિયલ એસેટિક એસિડ' (કિંમત રૂ. 490 ) પણ મળી આવ્યું હતું. આ એસિડનો ઉપયોગ દૂધને ફાડીને ઝડપથી પનીર બનાવવા માટે થતો હોવાની આશંકા છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાનકારક છે. બંને યુનિટ (ખટોદરા અને સાયણ) ખાતેથી મળીને પોલીસે કુલ રૂપિયા 03,02,139 ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીની કબૂલાત: 'હા, પનીર નકલી છે'ડીસીપી રાજદીપ સિંહ નકુમ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આરોપી કૌશિક પટેલે પ્રાથમિક પૂછપરછમાં જ ભાંગી પડ્યો હતો અને ચોંકાવનારી કબૂલાત કરી હતી. પોલીસે જણાવ્યું કે, જ્યારે અમે યુનિટ પર ચેક કર્યું, ત્યારે જાણવા મળ્યું કે તેઓ બજાર ભાવ કરતાં ઘણા ઓછા ભાવે પનીર વેચી રહ્યા હતાં. આનાથી અમારી શંકા દ્ઢ બની હતી. નકલી પનીર માત્ર 250થી 270 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચતાપ્રાથમિક પૂછપરછ દરમિયાન જ, આરોપીઓએ કબૂલી લીધું કે આ જે પનીર છે, તે નકલી છે. આરોપીઓએ જણાવ્યું કે તેઓ ઓરીજનલ પનીર, જેની કિંમત બજારમાં ઘણી વધારે હોય છે, તેની સામે આ નકલી પનીર માત્ર 250થી 270 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચતા હતાં. ઓરીજનલ પનીર કરતાં લગભગ અડધા ભાવને કારણે, હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને કેટરર્સ તરફથી તેમને મોટા ઓર્ડરો મળતા હતાં. દરરોજ 200 કિલોગ્રામ નકલી પનીર બજારમાં વેચી દેતાઆ ગેંગ રોજેરોજ આશરે 100થી 200 કિલોગ્રામ નકલી પનીર સુરતના બજારમાં વેચી દેતા હતાં, જેનો સીધો અર્થ એ છે કે હજારો સુરતીઓ અજાણતાં જ આ નકલી પનીર ખાઈને પોતાનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકી રહ્યા હતા. સેમ્પલને FSLમાં મોકલાયાફૂડ સેફ્ટી ઓફિસરોએ બંને સ્થળોએથી પનીર, દૂધ, બટર અને એસિડ સહિતના તમામ શંકાસ્પદ પદાર્થોના સેમ્પલ લીધા છે. આ તમામ સેમ્પલને સીલ કરીને તપાસણી અર્થે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ખાતે પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. FSL રિપોર્ટ બાદ 'પાસા' સુધીની કાર્યવાહીના સંકેતઆ ગંભીર ગુના અંગે એસઓજીના ડીસીપી રાજદીપ સિંહ નકુમએ અત્યંત કડક વલણ અપનાવ્યું છે. તેમણે મીડિયાને જણાવ્યું, આગળની કાર્યવાહીમાં, FSL રિપોર્ટ ટૂંક સમયમાં આવી જશે. રિપોર્ટના આધારે આરોપીઓ પર વધુમાં વધુ અને ભારે કલમો લગાડીને ગુનો દાખલ કરવામાં આવશે. તેમણે ચેતવણી ઉચ્ચારતા ઉમેર્યું, બીજો મુદ્દો એવો છે કે, જો આવા લોકો સતત સુધરશે નહીં અને આવું નકલીનું વેચાણ ચાલુ રાખશે, તો એ લોકો ઉપર મલ્ટીપલ ગુનાઓ દાખલ કરી, જરૂર પડ્યે 'પાસા' હેઠળની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ ડેરી પાસેથી નકલી પનીર કોણ-કોણ ખરીદતું હતું?પોલીસે એ પણ જણાવ્યું છે કે તેમની તપાસ હજી ચાલુ છે. આ નકલી પનીર કોણ-કોણ ખરીદતું હતું, તે ગ્રાહકોની પણ તપાસ કરવામાં આવશે અને શંકાસ્પદ જથ્થો મળી આવ્યે તેમના પર પણ કાર્યવાહી કરાશે. દિવાળીના સમયથી શરૂ થયેલી આ ડ્રાઈવમાં અગાઉ 9000 કિલો નકલી ઘી અને 100 કિલો નકલી માખણ પણ પકડવામાં આવ્યું હતું, અને SOG આ મામલે સહેજ પણ ઢીલ મુકવાના મૂડમાં નથી.
સુરતનાં કોટ વિસ્તારમાં આવેલ રાણી તળાવમાં રાત્રે એક જૂનું મકાન ધરાશાયી થતાં આસપાસનાં રહેવાસીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. બે માળનાં મકાન પૈકી પહેલાં અને બીજા માળનો સ્લેબ ધડાકાભેર જમીનદોસ્ત થતાં સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટના અંગેની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. મકાનનાં કાટમાળમાંથી ફાયર વિભાગનાં લાશ્કરો દ્વારા એક યુવકનું રેસક્યુ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર ગત રાત્રે રાણી તળાવ ખાતે આવેલ લુહારની પોળમાં સતી માતાના મંદિર પાસે છેલ્લા કેટલાક સમયથી જર્જરિત બે માળનું મકાનનો સ્લેબ ધરાશાયી થઈ ગયું હતું. ગ્રાઉન્ડ સહિત બે માળનાં મકાનમાં પહેલાં અને બીજા માળનો સ્લેબ ધડાકાભેર તુટી પડતાં આસપાસમાં નિંદ્રાધીન પરિવારો પણ સફાળા જાગી ઉઠ્યા હતા. બીજી તરફ સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરીને મકાનમાં ચાર વ્યક્તિઓ ફસાયા હોવાનું જણાવ્યું હતું. ફાયર ઓફિસર બળવંતસિંગે જણાવ્યું હતું કે, મુગલીસરા અને ઘાંચીશેરીથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો. સ્થાનિકોનાં જણાવ્યા અનુસાર મકાન માલિક દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર પર કેળા સહિતનાં ફળનો જથ્થો મુકવામાં આવતો હતો અને 42 વર્ષીય બિપીન વાઘેલા મકાનમાં એકલો વસવાટ કરતો હતો. જો કે, ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક રેસક્યુ હાથ ધરવામા આવ્યું હતું. મકાનનાં પાછળનાં ભાગનો દરવાજો તોડીને બિપીન વાઘેલાને બચાવી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા મકાનનો કાટમાળ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અલબત્ત, મોડી રાત્રે સર્જાયેલ આ દુર્ઘટનાને પગલે કોઈ જાનહાનિ ન થતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.
ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ-સોમનાથમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન એક દરગાહના ડિમોલિશન વખતે પરિસ્થિતિ વણસી હતી. જેમાં સ્થાનિક લોકોના ટોળાએ તંત્રની કામગીરીનો વિરોધ કરીને પોલીસ પર તીવ્ર પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે તાત્કાલિક હળવો લાઠીચાર્જ કર્યો હતો અને અનિયંત્રિત ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ પણ છોડવાની ફરજ પડી હતી. ત્યારે 17 સામે નામજોગ અને અન્ય મળી 100ના ટોળા સામે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં BNS સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ ઇન્સ્પેક્ટર સહિત બે જવાનો ઘાયલપથ્થરમારાની આ ઘટનામાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. પટેલ અને સર્વેલન્સ સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ પરમાર ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 17 નામજોગ સહિત આશરે 100 લોકો વિરુદ્ધ ગુનોહુમલાની ઘટના બાદ પોલીસે વીડિયો ફૂટેજના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાયબ મામલતદાર રણજીતસિંહ ખેરની ફરિયાદના આધારે, પોલીસે 17 નામજોગ વ્યક્તિઓ સહિત આશરે 55થી 85 સ્ત્રી-પુરુષોના (લગભગ 100 લોકોના) તોફાની ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં BNS (ભારતીય ન્યાય સંહિતા)ની કલમ 189(2), 189(3), 189(5), 190, 191(2), 195(1), 125, 121(1) તેમજ જી.પી.એ. (ગુજરાત પોલીસ અધિનિયમ)ની કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનો નોંધાયેલા મુખ્ય આરોપીઓમાં રફિક ગઢિયા ઉર્ફે ગરીયો, સબાના હારુનભાઈ મોઠીયા, રજીયા હુસેન કાલવાત, ગુલામ સાબીર ડોક્ટર, રાજુશા હિનફશા બાનવા, શકીલ ઉર્ફે ગલી કાલવાત, ઓબામા, નદીમ કાલવાણીયા, અયુબ બદામ, સબ્બીર મૌલાના, સુફિયાન કાલવાણીયા (મેડિકલ વાળો) સહિતનાનો સમાવેશ થાય છે. કોમ્બિંગ ઓપરેશન, કડક કાર્યવાહીના સંકેતહુમલા બાદ તોફાની તત્વોને પકડી પાડવા માટે પોલીસે તાત્કાલિક કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, મોટાભાગના આરોપીઓ ઘટના બાદ નાસી છૂટ્યા હોવાના અહેવાલ છે, જેની શોધખોળ પોલીસે તીવ્ર બનાવી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ જણાવાયું છે કે સરકારી જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી યથાવત્ ચાલુ રહેશે, અને કાયદો હાથમાં લેનાર તેમજ સરકારી કર્મચારીઓ પર હુમલો કરનાર તત્વો સામે સૌથી કડક પગલાં લેવામાં આવશે. કોના સામે ફરિયાદ નોંધાવાઈ
દિલ્હી કાર વિસ્ફોટ બાદ શામળાજી મંદિર સુરક્ષા વધારી:પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટ બાદ દેશભરના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. મંદિર પરિસરમાં સશસ્ત્ર પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. દર્શનાર્થે આવતા તમામ ભક્તો અને મુલાકાતીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. શામળાજી મંદિર સરહદી વિસ્તારમાં આવેલું હોવાથી સુરક્ષા તંત્ર વધુ સતર્ક બન્યું છે. કોઈ શંકાસ્પદ વ્યક્તિ ધાર્મિક સ્થળો પર અરાજકતા ન ફેલાવે તે સુનિશ્ચિત કરવા માટે મંદિર આસપાસ ચોવીસ કલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પાટણમાં સગીરા ગુમ:પિતાએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી
પાટણ શહેરમાંથી એક 16 વર્ષીય સગીરા ગુમ થવાનો બનાવ સામે આવ્યો છે. સગીરાના પિતાએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણ અને કાયદેસરની વાલીપણામાંથી ભગાડી જવાની ફરિયાદ બી ડિવિઝન સ્ટેશન માં નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ ફરિયાદ મુજબ, ગુમ થયેલી સગીરાની ઉંમર 16 વર્ષ, 9 મહિના અને 8 દિવસ છે. તે પોતાના ઘરેથી નજીકની દુકાને દૂધ લેવા ગઈ હતી, પરંતુ ત્યારબાદ તે પરત ફરી નહોતી. લાંબા સમય સુધી દીકરી પરત ન આવતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. પરિવારજનોએ દીકરીની શોધખોળ કરી હતી, પરંતુ તેની કોઈ ભાળ ન મળતાં પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે કોઈ અજાણ્યો ઈસમ તેમની સગીર દીકરીને તેમના કાયદેસરના વાલીપણામાંથી ગેરકાયદેસર રીતે ભગાડી ગયો છે. પોલીસે આ મામલે અપહરણ અને કાયદેસરની વાલીપણામાંથી ભગાડી લઈ જવા બદલ અજાણ્યા આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. ગુમ થયેલી સગીરા અને આરોપીને શોધવા માટે પોલીસે તાત્કાલિક ધોરણે જુદી જુદી ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવેમ્બર-ડિસેમ્બર માસમાં લેવાનારી પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. કુલ ત્રણ તબક્કામાં આયોજિત આ પરીક્ષાઓમાં આશરે 2.50 લાખ વિદ્યાર્થીઓ 120 જેટલી પરીક્ષાઓ આપશે. આજે પ્રથમ તબક્કાની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ હતી. પરીક્ષાઓનો પ્રથમ તબક્કો આજથી, 11 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી ચાલશે. આ તબક્કામાં મુખ્યત્વે સ્નાતક કક્ષાના સેમેસ્ટર 5 અને અનુસ્નાતક કક્ષાના સેમેસ્ટર 5ના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવાઈ રહી છે. ત્યારબાદ, પરીક્ષાઓનો બીજો તબક્કો 25 નવેમ્બરથી શરૂ થશે, જેમાં સ્નાતક કક્ષાના સેમેસ્ટર 3ની પરીક્ષાઓ યોજાશે. ત્રીજા અને અંતિમ તબક્કામાં ડિસેમ્બર માસ દરમિયાન સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના સેમેસ્ટર 1 અને બાકી રહેલા વિવિધ સેમિસ્ટરની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે. પરીક્ષાઓમાં ગેરરીતિઓ રોકવા માટે દરેક જિલ્લામાં બે સ્કવોડની રચના કરવામાં આવી છે, જેઓ પરીક્ષા કેન્દ્રો પર સરપ્રાઈઝ ચેકિંગ કરી રહી છે. પરીક્ષાના સેન્ટ્રલ ઓબ્ઝર્વેશન અંગે કો-એડિટર કે.કે. પટેલે જણાવ્યું હતું કે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને વિભાગોની ઓક્ટોબર-ડિસેમ્બર 2025ની પ્રથમ રાઉન્ડની પરીક્ષાઓ આજથી શરૂ થઈ છે. યુજીમાં સેમેસ્ટર 5 અને પીજીમાં સેમેસ્ટર 5ના કુલ 34 કોર્સની પરીક્ષાઓ આજથી શરૂ થઈ છે. તમામ જિલ્લાઓમાં સેન્ટ્રલાઈઝ્ડ ઓબ્ઝર્વેશનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં હાલ 225 જેટલા ઓબ્ઝર્વર નિરીક્ષણની કામગીરી બજાવી રહ્યા છે. સેન્ટ્રલાઈઝ્ડ રિસીવિંગની વ્યવસ્થા પણ છે, જ્યાં પરીક્ષાની સીલબંધ ઉત્તરવહીઓ યુનિવર્સિટી ખાતેના સ્ટ્રોંગ રૂમમાં રાત્રે સીલ કરવામાં આવે છે. વધુમાં, પાંચ જિલ્લાઓ અંતર્ગતની કોલેજોમાં ફ્લાઈંગ સ્કવોડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જે કોલેજોમાં તપાસ કરી રહી છે.
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અને શાર્પશૂટર ગેંગના ઈસમો વચ્ચે ઘર્ષણ થયું હતું. હથિયાર આપવા આવ્યાં તે વખતે હોટલમાં રોકાયેલા ઈસમોને પોલીસ ઝડપવા ગઈ હતી. તે દરમિયાન પોલીસ અને ગેંગ વચ્ચે ઘર્ષણ થયું હતું. ગેંગે પોલીસ પર ગોળીબાર કર્યો હતો. જેને પગલે પોલીસે પણ સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું. જેને પગલે હથિયારો આપવા આવેલા પાંચ પૈકી એકને પગના ભાગે ગોળી વાગી હતી. જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે મળતી વિગત મુજબ SMCને બાતમી મળી હતી કે, હથિયારોની આપ-લે કરવા માટે ચાર જેટલા ઈસમો એક હોટલમાં રોકાયા છે. આ બાતમીના આધારે SMCની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને આરોપીઓએ પકડાઈ જવાના ડરથી નાસી છૂટવાના ઈરાદે પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો. પોલીસે પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા અને સ્વબચાવમાં વળતો ગોળીબાર કર્યો હતો. પોલીસના ફાયરિંગમાં હથિયાર આપવા આવેલા ચાર પૈકી એક શખ્સને પગના ભાગે ગોળી વાગી હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ ઉપરાંત નવસારી જિલ્લાની અન્ય પોલીસ એજન્સીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં પકડાયેલા ઈસમો કુખ્યાત ગેંગ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે, જેના આધારે પોલીસે આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. અમે આ સમાચારને અપડેટ કરી રહ્યા છીએ...
અજાણ્યો શખ્સ દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા 5,18,800 ની માલમત્તા ચોરી કરી ફરાર ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ વૃંદાવન પાર્ક માં આવેલ એક મકાનમાં કોઈ અજાણ્યા શખ્સે માત્ર ધોળા દિવસે દોઢ કલાકમાં બંધ મકાનના દરવાજા તોડી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા 5 લાખથી વધુ ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના જુના બંદર વિસ્તારમાં આવેલ મોડેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા અને કાળીયાબીડમાં આવેલ વૃંદાવન પાર્ક સોસાયટી પ્લોટ નંબર સી 1207/બી માં રહેતા મનોજ જયંતીભાઈ પટેલ ઉં.વ.53 નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.8-11-2025 ના રોજ તે નિત્યક્રમ પ્રમાણે ફેક્ટરીએ કામ પર ગયા હોય અને તેના પત્ની બજારમાં ખરીદી કરવા ગયા હોય એ દરમિયાન દિવસના બપોરના 11 થી 12:30 સમયે વચ્ચે કોઈ અજાણ્યા શખ્સે બંધ મકાનના દરવાજાની સ્ટોપર તોડી ઘરમાં પ્રવેશી રૂમમાં રાખેલ કબાટમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા 5,18,800 ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો, આ અંગે નીલમબાગ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જેમાં આજે સવારે નીલમબાગ પોલીસે ડોગ સ્કોવડ, ફોરેન્સિક એક્સપર્ટ તથા પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી જ્યારે બાજુમાં રહેલ બંધ મકાન માં ડોગ સ્કોવડએ તપાસ હાથ ધરી હતી જેમાં તેઓ ને ત્યાંથી નિશાનો હાથ લાગ્યા હતા.
ભચાઉમાં જાપાન નિર્મિત શાળા સંકુલ ખંડેર:ભૂકંપ બાદ બનેલી ઇમારત દાયકાથી છાત્રો વિહોણી
ભચાઉમાં ભૂકંપ બાદ જાપાન સરકારના સહયોગથી બનેલું આદર્શ નિવાસી શાળાનું સંકુલ ખંડેર હાલતમાં છે. એક દાયકાથી વિદ્યાર્થીઓ આ ઇમારતથી વંચિત છે અને શાળા 16 કિલોમીટર દૂર અન્ય સ્થળે કાર્યરત છે. વર્ષ 2004-05માં જાપાન સરકાર અને ત્યાંના વિદ્યાર્થીઓના દાનથી ભચાઉના દુધઈ રાજ્ય ધોરીમાર્ગ પર આ સંકુલનું નિર્માણ થયું હતું. કરોડોના ખર્ચે બનેલી આ શાળા ભચાઉ, રાપર અને ગાંધીધામના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક રહેવા, જમવા અને શિક્ષણની સુવિધા પૂરી પાડતી હતી. સમય જતાં ઇમારત જર્જરિત બની અને પી.ડબલ્યુ.ડી. દ્વારા તેને જોખમી જાહેર કરવામાં આવી. આથી, એક દાયકા પહેલા શાળાને કબરાઉ નજીક પાકડસર ઉદાસીન આશ્રમમાં સ્થળાંતરિત કરવી પડી. લાંબો સમય વીતી ગયો હોવા છતાં, ઇમારતને તોડીને તેનું નવીનીકરણ કરવામાં આવ્યું નથી. હાલમાં, ઇમારતમાં શાળાના રેકોર્ડ સચવાયેલા છે અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે સુરક્ષાકર્મીની નિયુક્તિ કરવામાં આવી છે. આદર્શ નિવાસી શાળાના આચાર્ય ધર્મેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે, શાળામાં ધોરણ 8 થી 12 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે અને તેનું પરિણામ સારું આવે છે. તેમણે વિદ્યાર્થીઓની અગવડતા દૂર કરવા અને આર.એન.બી. તથા પી.ડબલ્યુ.ડી. દ્વારા જોખમી ઇમારત તોડીને નવું બાંધકામ કરવાના પ્રયાસો ચાલુ હોવાનું ઉમેર્યું. રાજ્ય સરકારના વિકસિત જાતિ કલ્યાણ ખાતા દ્વારા 13 જુલાઈ, 2004ના રોજ, ભૂકંપ પછી ઝડપથી આ શૈક્ષણિક સંકુલ તૈયાર કરાયું હતું. આદર્શ નિવાસી શાળાને હ્યુગો, ગુજરાત ફ્રેન્ડશિપ ફંડ દ્વારા અનુદાન મળ્યું હતું. જાપાનના કોબેના સ્પેશિયલ એડવાઈઝર ટુ ધ ગવર્નર કોઈકો, ગુજરાત સરકારના મંત્રી રમણભાઈ વોરા, ભારત સરકારના સિસ્મિક કેપેસિટી બિલ્ડિંગ એડવાઈઝર પદ્મશ્રી ડો. એ.એસ. આર્યા અને જોઈન્ટ ચીફ એજ્યુકેટીવ ઓફિસર આઈએએસ વી શ્રીરુપુગાહાની ઉપસ્થિતિમાં આ ઇમારત અર્પણ કરાઈ હતી. જોકે, આજે આ ઇમારત ખંડેર હાલતમાં છે, જે તેના નવીનીકરણની તાત્કાલિક જરૂરિયાત દર્શાવે છે.
દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત રાજ્યનું સુરક્ષા તંત્ર સક્રિય બન્યું છે. દક્ષિણ ગુજરાતના સંવેદનશીલ ડાંગ જિલ્લામાં પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે. ગુજરાત-મહારાષ્ટ્ર સીમા પર આવેલા ડાંગ જિલ્લામાં પ્રવેશતા દરેક વાહન અને મુસાફરોની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. ડાંગ જિલ્લો મહારાષ્ટ્રની સીમા સાથે જોડાયેલો હોવાથી સુરક્ષા દૃષ્ટિએ તેનું વિશેષ મહત્વ છે. સાપુતારા, વઘઇ, આહવા અને સુબિર સહિતના વિસ્તારોમાં પોલીસ ચેકપોસ્ટ પર સતત પેટ્રોલિંગ કરી રહી છે. ખાસ કરીને ગુજરાત રાજ્યના પ્રવેશદ્વાર ગણાતા સાપુતારા ચેકપોસ્ટ પર પોલીસ ટુકડીઓ દ્વારા 24 કલાક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સ્ટેટ હાઈવે પરથી પસાર થતા તમામ વાહનોને રોકીને ડ્રાઈવર અને મુસાફરોના ઓળખપત્રો ચકાસવામાં આવે છે. વાહનોના ટ્રંક, બેગ, સુટકેસ તેમજ અન્ય માલસામાનની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ધુમ્મસ અને ઠંડી વચ્ચે પણ સુરક્ષા દળો રાત્રિ દરમિયાન સતત પેટ્રોલિંગ ચાલુ રાખી રહ્યા છે, જેથી કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વાહન જિલ્લાની હદમાં પ્રવેશી ન શકે. ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ સ્ટેશનોને હાઈઅલર્ટ પર રાખવામાં આવ્યા છે. જિલ્લા પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ આસપાસ કોઈ શંકાસ્પદ ગતિવિધિ કે વસ્તુ જોવા મળે તો તરત નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરે. દિલ્હીમાં થયેલા વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓની સૂચનાના આધારે રાજ્યના બોર્ડર વિસ્તારોમાં આ ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ડાંગ જિલ્લામાં તંત્રની આ તકેદારીને કારણે પ્રવાસીઓમાં પણ વિશ્વાસ અને સુરક્ષાની ભાવના જોવા મળી રહી છે.
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં દસ દિવસ અગાઉ થયેલી એક મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. સાબરકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે ચોરીના મુખ્ય આરોપી પૈકીના એકને હિંમતનગરથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલો સોનાના દાગીના, રાડોની ઘડિયાળ અને રોકડ રકમ સહિત કુલ ₹7,83,470નો મુદ્દામાલ પણ સફળતાપૂર્વક કબજે કર્યો છે. બાતમીના આધારે કાર્યવાહીSOG ટીમ ATS ચાર્ટર સંબંધિત કામગીરી હેઠળ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને એક ચોક્કસ બાતમી મળી હતી કે, બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો આરોપી ચોરીના મુદ્દામાલ સાથે હિંમતનગરમાં વિધાનગરી પાસે રોડ પર ફરી રહ્યો છે. બાતમીના આધારે SOG ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પર પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની અંગઝડતી દરમિયાન સોનાના દાગીના, રાડોની ઘડિયાળ અને રોકડ રકમ મળી કુલ ₹7,83,470નો શંકાસ્પદ મુદ્દામાલ મળી આવ્યો હતો. આરોપીએ કબૂલાત કરીપોલીસે ઝડપાયેલા આરોપીની આકરી પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું હતું કે, આશરે દસ દિવસ પહેલાં તેણે અને તેના અન્ય ત્રણ મિત્રોએ મળીને બાપુનગર વિસ્તારમાં સેલ્સ ઇન્ડિયા નજીક આવેલી ઇલા સોસાયટીના એક બંધ મકાનમાં આ ચોરીને અંજામ આપ્યો હતો. આ ઘરફોડ ચોરી અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો હતો. ઘરફોડ ચોરીમાં પકડાયેલો આરોપી પોલીસે પકડેલા આરોપીની ઓળખ વિજય ઉર્ફે વિજલો ઉર્ફે શંભુ દલાભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા (સલાટ) (ઉં.વ. ૨૫) તરીકે થઈ છે, જે હાલ હિંમતનગરનો રહેવાસી છે અને અગાઉ તે કુબેરનગર, અમદાવાદમાં રહેતો હતો. જોકે, આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ હજુ ફરાર છે. ફરાર આરોપીઓ રાકેશ ઉર્ફે ધનિયો રાજુભાઈ પટ્ટણી (રહે. સલાટવાસ, પોલોગ્રાઉન્ડ, હિંમતનગર) મયુર ઈશ્વરભાઈ ભાટ (રહે. કાટવાડ રોડ, ગટર ગલ્લા જોડે છાપરામાં, હિંમતનગર) સન્ની ઉર્ફે સન્નીયો શિવરામભાઈ બારોટ (ભાટ) (રહે. હરીનગર, કાટવાડ રોડ, હિંમતનગર) SOG ટીમે પકડાયેલા આરોપી અને મુદ્દામાલને વધુ કાયદેસરની કાર્યવાહી માટે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે અને બાપુનગર પોલીસને પણ આ અંગેની જાણ કરી દેવામાં આવી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.
ચાલુ વર્ષે અતિવૃષ્ટિને કારણે ગુજરાતના ખેડૂતોને પાકમાં વ્યાપક નુકસાન થયું છે. આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ધોરણે અત્યાર સુધીનું સૌથી મોટું ₹10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આ પેકેજ બદલ આણંદ જિલ્લાના ખેડૂતોએ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે. આ રાહત પેકેજ હેઠળ, ખેડૂતોને હેક્ટર દીઠ ₹22,000ની સહાય મળશે. બોરસદ તાલુકાના ડભાસી ગામના ખેડૂત ઉદેસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિને કારણે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ઘણું નુકસાન થયું છે, અને સરકારે આ નુકસાનને ધ્યાનમાં રાખીને તાત્કાલિક વળતર પેટે આ પેકેજ જાહેર કર્યું છે. આણંદના સિંગલાવ ગામના ખેડૂત રાજેશ પટેલે સરકારના આ પગલાને બિરદાવ્યું હતું. તેમણે ખાસ કરીને આ આપત્તિ સમયે ટૂંક સમયમાં પેકેજ જાહેર કરવા બદલ તેમજ આપત્તિ બાદ તુરંત જ સર્વેની કામગીરી હાથ ધરવા બદલ રાજ્ય સરકાર અને સર્વે ટીમોનો આભાર માન્યો હતો. સિંગલાવ ગામના અન્ય એક ખેડૂત ગીબતસિંહ મહિડાએ જણાવ્યું કે, તેમની એક વિઘા જમીનમાં ભારે વરસાદને કારણે ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે. તેમણે પણ સરકારે જાહેર કરેલા આ સહાય પેકેજ બદલ આભારની લાગણી વ્યક્ત કરી. સિંગલાવના જ રમણ પટેલનો ડાંગરનો પાક પણ વરસાદથી નિષ્ફળ ગયો હતો, અને તેમણે સરકારના આશ્રય બદલ આભાર માન્યો. આણંદ તાલુકાના નાપાડ તળપદ ગામના ખેડૂત ગોપાલ પરમારે જણાવ્યું કે, કમોસમી વરસાદથી થયેલા નુકસાનના સર્વે માટે રાજ્ય સરકાર દ્વારા ખેતીવાડી ખાતાના ગ્રામસેવક અને અધિકારીઓની ટીમ બનાવવામાં આવી હતી, જેણે તેમના ખેતરે આવીને સર્વે કર્યો હતો. તેમણે ઉમેર્યું કે આ રકમ તેમને તાત્કાલિક સહાયરૂપ બનશે અને આ માટે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનો આભાર માન્યો. હાડગુડ જહાંગીરપુરાના વતની મહેશ જાદવે પણ સરકારના રાહત પેકેજ બાબતે આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, કમોસમી વરસાદને કારણે તેમની 3 વિઘા જમીનમાં કરેલ ડાંગર ધોવાઈ ગઈ હતી, અને સર્વે બાદ જાહેર કરાયેલ ₹10,000 કરોડના રાહત પેકેજથી ખેડૂતોને મોટી રાહત અને ટેકો મળશે. આણંદ તાલુકાના નાપાડ તળપદ ગામના ખેડૂત અશોકગીરી ગોસ્વામીએ જણાવ્યું કે, કમોસમી વરસાદના કારણે તેમના ડાંગર પાકને નુકસાન થયું હતું. રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા સર્વે કરાવીને ખેડૂતો માટે રૂપિયા 10 હજાર કરોડનું પેકેજ જાહેર કરીને ઐતિહાસિક નિર્ણય લીધો છે. જેના કારણે અમને એક હેક્ટર દીઠ રૂપિયા 22,000 જેટલી રકમ મળશે. જે રકમ અમને ખરા સમયે મદદરૂપ બનશે. આણંદ તાલુકાના નાપાડ તળપદ ગામના ખેડૂત અશોકગીરી ગોસ્વામીએ જણાવ્યું કે, કમોસમી વરસાદના કારણે તેમના ડાંગર પાકને નુકસાન થયું હતું. રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા સર્વે કરાવીને ખેડૂતો માટે રૂપિયા 10 હજાર કરોડનું પેકેજ જાહેર કરીને ઐતિહાસિક નિર્ણય લીધો છે. જેના કારણે અમને એક હેક્ટર દીઠ રૂપિયા 22,000 જેટલી રકમ મળશે. જે રકમ અમને ખરા સમયે મદદરૂપ બનશે.
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સોમવારે એક મોટરકારમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાત સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. આ ઘટનાના પગલે જિલ્લાભરમાં પોલીસે સઘન ચેકિંગ કાર્યવાહી હાથ ધરી છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક સોમવારે સાંજે કારમાં થયેલા બ્લાસ્ટની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ સૂચના મળતા જ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે પણ સોમવાર સાંજથી જ સઘન તપાસ શરૂ કરી દીધી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સીધી દેખરેખ હેઠળ સ્થાનિક ગુના શોધક શાખા (LCB), સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), મરીન પોલીસ અને તમામ તાલુકાઓની સ્થાનિક પોલીસ ટીમોએ સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન ખાસ કરીને જિલ્લામાં પ્રવેશતા અને બહાર જતા વાહનોની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, તમામ હોટલોના રજીસ્ટર ચેક કરવામાં આવ્યા હતા. જિલ્લાના રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો અને મહત્વની દરિયાઈ જેટીઓ પર પણ પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી. વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પી.આઈ. અને તેમની ટીમે દ્વારકાધીશ મંદિર, રેલવે સ્ટેશન સહિતના સંવેદનશીલ સ્થળોએ ઝીણવટભરી તપાસ કરી હતી. શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ પણ કરવામાં આવી હતી, જોકે હાલ કોઈ શંકાસ્પદ હિલચાલ જોવા મળી નથી.
જૂનાગઢના ભારતીઆશ્રમના પૂર્વ લઘુમહંત 10 દિવસમાં બીજીવાર ગુમ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. સુસાઈડ નોટ લખી ભારતીઆશ્રમમાંથી 2 નવેમ્બરે ગુમ થયા બાદ મહાદેવભારતી 5મી નવેમ્બરે જૂનાગઢના જંગલમાં ઈટવા ઘોડી પાસેથી અર્ધબેભાન હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ તેને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ ભારતી આશ્રમ મહંત હરીહરાનંદ દ્વારા મહાદેવભારતીને ભારતી આશ્રમના તમામ પદ પરથી દૂર કરી દીધા હતા અને આશ્રમને તેની સાથે હવે કોઈ લેવાદેવા ન હોવાની વાત કરી હતી. હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ મહાદેવભારતીને તેમનો પરિવાર જસદણ તાલુકાના સાણથલી ગામ તેમના ભાઈના ઘરે લઈ ગયા હતા. મહાદેવભારતીના ભાઈએ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માતા-પિતા અને બહેનોએ જે થયું તે ભૂલી જવાનું કહી ઘણું સમજાવ્યા હતા. તેમ છતાં 9મી તારીખે તેઓ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા છે.તે ક્યાં ગયા તેની પરિવારજનોને કોઈ જાણ નથી. માતા અને બહેનોના રુદન છતાં બાપુનો અડગ નિર્ણયજસદણ તાલુકાના સાણથલી ગામે રહેતા મહાદેવ ભારતી બાપુના મોટાભાઈ જીતુભાઈ સાથે 'દિવ્ય ભાસ્કરે' વાત કરતા આ સમગ્ર ઘટનાક્રમની વિગતો જાણવા મળી હતી. જીતુભાઈએ જણાવ્યું હતું કે, બાપુ ગિરનાર જંગલમાં ઈટવા ઘોડી નજીકથી મળી આવ્યા બાદ તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. સારવાર બાદ ડિસ્ચાર્જ થતાં તેઓ બાપુને પોતાના સાણથલી ગામે લાવ્યા હતા. અહીં બાપુ બે દિવસ રોકાયા હતા. આ દરમિયાન અમરેલી જિલ્લાના બગસરા નજીક આવેલા ખીજડીયા ગામના વતની એવા બાપુના માતા-પિતા, બે બહેનો અને અન્ય સગા-સંબંધીઓ પણ તેમને સમજાવવા માટે સાણથલી આવ્યા હતા. બાપુની તબિયત સારી ન હોવાથી તેમને બે દિવસ આરામ કર્યો હતો. ત્રીજા દિવસે પરિવારના તમામ સભ્યોએ એકસાથે મળીને બાપુને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા. તેમને આગ્રહ કર્યો કે, 'જે થયું તે ભૂલી જાવ અને સુખેથી જિંદગી જીવો.' આ સમજાવટ દરમિયાન માતા અને બહેનો ખૂબ રોયા હતા. પરંતુ બાપુ પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને માત્ર એક જ વાત કહી: તમે મારી ચિંતા ન કરો. મારે હવે અહીં નથી રહેવું. હું કોઈ પણ જગ્યાએ જઈશ, મારે ભોળાનું ભજન કરવું છે. મારા ઘણા સેવકો છે. 'સેવકોએ આશ્રમ બનાવી આપવાની ઓફર કરી હતી'બાપુ ગુમ થયા બાદ તેમનો મોબાઇલ બંધ હતો, પરંતુ સાણથલી આવ્યા પછી બે દિવસ માટે તેમણે ફોન ચાલુ કર્યો હતો. આ દરમિયાન તેમના ઘણા શિષ્યોના ફોન આવ્યા હતા. શિષ્યોએ બાપુને હિંમત આપતા કહ્યું હતું કે, બાપુ, તમે કોઈ ચિંતા ન કરો. અમે તમને નાના-મોટો તમે કહેશો તેવો આશ્રમ બનાવી દેશું, તમે ભજન-ભક્તિ કરો. જોકે પરિવાર શાંતિથી સૂતો હતો ત્યારે વહેલી સવારે બાપુ કોઈને કઈ પણ કહ્યા વગર સાણથલી ગામેથી ફરીથી નીકળી ગયા છે. હાલ તેઓ ક્યાં ગયા છે, કોને ત્યાં ગયા છે, તેની કોઈ જાણકારી પરિવારજનોને નથી. મહાદેવભારતી 19 વર્ષ પહેલા ઘર છોડી દીધું હતું- જીતુભાઈભારતી આશ્રમના મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતી બાપુએ મહાદેવ ભારતીને તમામ હોદ્દા પરથી દૂર કરવાનો જે નિર્ણય લીધો છે, તે અંગે જીતુભાઈએ કહ્યું કે, મને કંઈ જ ખ્યાલ નથી. બાપુ 19 વર્ષ પહેલાં ઘર છોડી સંસાર ત્યાગી ભોળાની ભક્તિ કરવા માટે ઘરેથી નીકળ્યા હતા. અંદાજે 11 વર્ષ પહેલાં જૂનાગઢ શિવરાત્રીના બે દિવસ પહેલાં તેમણે હરીહરાનંદ ભારતી બાપુને ગુરુ તરીકે ધારણ કરીને દીક્ષા લીધી હતી અને પ્રભુની ભક્તિ શરૂ કરી હતી. જીતુભાઈએ વધુમાં જણાવ્યું કે બાપુની ઉંમર 25 વર્ષની હતી ત્યારે પરિવાર લગ્નની વાત કરતો હતો, પરંતુ બાપુએ ત્યારે પણ કહ્યું હતું કે 'ના, મારે લગ્ન નથી કરવા, મારે સંસાર નથી માંડવો, મારે પ્રભુની ભક્તિ કરવી છે.' મહાદેવ ભારતી બાપુ નાનપણથી જ પ્રભુ ભક્તિમાં તલ્લીન હતા. આ સમગ્ર મામલે મહાદેવ ભારતી બાપુ પર જે આક્ષેપો લાગ્યા છે કે હરીહરાનંદ બાપુએ તેમને તમામ હોદ્દા પરથી દૂર કર્યા છે, તે મામલે જીતુભાઈએ કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું, હું સંસારી છું, મને વધારે કંઈ ખ્યાલ ન હોય. હાલમાં પરિવાર ફક્ત એટલું જ જાણે છે કે બાપુ બે દિવસ આરામ કર્યા બાદ વહેલી સવારે સાણથલીથી નીકળી ગયા છે અને તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. બાપુના આ પગલાંથી હવે આશ્રમ અને ધાર્મિક વર્તુળોમાં ફરી એકવાર ચર્ચાનો દોર શરૂ થયો છે
આણંદ એલ.સી.બી. પોલીસે લૂંટના ચાર ગુનામાં નાસતા ફરતા આરોપી વિક્રમભાઈ ઉર્ફે વિકો જશુભાઈ રમણભાઈ ચુનારા (રહે. ગાડા, તા. સોજીત્રા) ને ઝડપી પાડ્યો છે. આ આરોપી આણંદ-ખેડા જિલ્લાના સીમ વિસ્તારમાં એકલા રહેતા પરિવારોને નિશાન બનાવી મારમારી લૂંટ કરતો હતો. અગાઉ આ ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ અન્ય આરોપીઓને ચારેક મહિના પહેલા ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, સોજીત્રા તાલુકાના રૂણજ ગામે નહેર પાસે તેમજ અન્ય જગ્યાઓએ થયેલ લૂંટમાં સંડોવાયેલ વિક્રમ ચુનારા પીપળાવ ચોકડી ખાતે આવવાનો છે. આ માહિતીના આધારે આણંદ એલ.સી.બી.ની ટીમે પીપળાવ ચોકડી ખાતે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપી વિક્રમ ચુનારાની પૂછપરછ કરતાં તેણે પોતાના સાથીદારો સાથે મળીને આઠેક માસ અગાઉ ભાલેજ ગામમાં, ચારેક માસ અગાઉ નિસરાયા તથા રૂણજ ગામમાં અને દસેક મહિના અગાઉ ચકલાસી ગામે લૂંટ કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ અર્થે સોજીત્રા પોલીસ મથકમાં સોંપ્યો છે.
ભારતીય કિસાન સંઘ, રાપર તાલુકા દ્વારા આજે રાપર મામલતદાર કચેરી ખાતે ડીએપી અને યુરિયા સહિતના રાસાયણિક ખાતરની અછત દૂર કરવા માંગ કરવામાં આવી હતી. સંઘના હોદ્દેદારોએ વાગડ વિસ્તારમાં ખાતરની તીવ્ર અછત હોવાનું જણાવી, રવિ સિઝન માટે વાવેતર કરવા ઈચ્છુક ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું હતું કે, ચોમાસામાં કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતો પહેલેથી જ દેવામાં ડૂબેલા છે. ચાલુ રવિ સિઝનમાં જીરું, રાયડો, ઘઉં, ઇસબગુલ, વરિયાળી અને એરંડા જેવા પાકો માટે ડીએપી અને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે. હાલમાં રાપર અને ભચાઉ બંને તાલુકામાં આ ખાતરોની મોટી અછત વર્તાઈ રહી છે. જો સમયસર ખાતર નહીં મળે તો ખેડૂતોને મોડું વાવેતર કરવાની ફરજ પડશે અથવા નકલી ખાતર ખરીદવા મજબૂર થવું પડશે, જેનાથી પાક ઉત્પાદન પર નકારાત્મક અસર થશે. કિસાન સંઘે મામલતદારને આ બાબતે વિશેષ ધ્યાન આપી ખેડૂતોની મદદે આવવા અને બંને તાલુકાઓ માટે ખાતરનો વિશેષ જથ્થો ફાળવવા વિનંતી કરી છે. સંઘે એમ પણ જણાવ્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી ખાતરની આવી પરિસ્થિતિ સર્જાય છે અને ચાર મહિના અગાઉ પણ આ અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ આવેદનપત્રની નકલો કૃષિ મંત્રી (ગુજરાત સરકાર), કલેક્ટર કચ્છ, જિલ્લા પ્રમુખ (ભારતીય કિસાન સંઘ) અને ધારાસભ્ય (રાપર-ગાંધીધામ)ને પણ રવાના કરવામાં આવી હતી.
દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ ઘટનાને પગલે ગુજરાત પોલીસ એલર્ટ થઈ ગઈ છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તકેદારીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કર્યો છે.દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ સુરક્ષા દૃષ્ટિએ રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોમાં કડક ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ, બસ-રેલવે સ્ટેશનો અને મુખ્ય જાહેર સ્થળોએ નાકાબંધી સાથે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.રાજ્યના તમામ શહેર અને જિલ્લાની પોલીસને વાહન ચેકિંગ, વધારેલા પેટ્રોલિંગ અને શંકાસ્પદ વ્યક્તિઓની તાત્કાલિક તપાસ માટે સૂચના અપાઈ છે.આજે ગાંધીનગર સચિવાલયમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવાઈ છે. દરેક ગાડીનું ચેકિંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પોલીસ અને સુરક્ષા દળો સતત એલર્ટ પર છે અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ સામે તરત પગલા લેવા માટે તૈયાર છે.
ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા, મુળી અને થાનગઢ તાલુકાના ગામોમાં મોટા પાયે થતી ગેરકાયદેસર ખનિજ ચોરીને અટકાવવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં તમામ સરપંચો અને તલાટી-કમ-મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષસ્થાનેથી જણાવાયું હતું કે અગાઉ જ્યાં ખનિજ ચોરી થતી હતી, ત્યાં આકસ્મિક તપાસણી કરીને તેને બંધ કરાવવામાં આવી છે. ભવિષ્યમાં કોઈ પણ ગામમાં ખનિજ ચોરી ફરી શરૂ ન થાય તે માટે તકેદારી રાખવા અને જો આવી ચોરી ધ્યાનમાં આવે તો તાત્કાલિક સૂચના મુજબ કાર્યવાહી કરવા તમામ સરપંચો અને તલાટી-કમ-મંત્રીઓને આદેશ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ગૌચર અને સરકારી પડતર જમીનો પર થયેલા દબાણો દૂર કરવા અને દબાણકર્તાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં ચોટીલા, મુળી અને થાનગઢના મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ સંબંધિત ગામોના સરપંચો અને તલાટી-કમ-મંત્રીઓ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ પોરબંદર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. શહેર સહિત રેલવે, એરપોર્ટ અને બંદર વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. આ ઘટનાને પગલે પોરબંદર જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. પોલીસ દ્વારા રાત-દિવસ સતત ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા રેલવે સ્ટેશન ખાતે મુસાફરો અને માલસામાનનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ વિસ્તારમાં બોમ્બ ડિટેક્શન સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે. બંદર અને કોસ્ટલ હાઈવે વિસ્તારોમાં પણ પોલીસે નાકાબંધી કરી છે. ગત રાતથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં નાકાબંધી કરીને વાહનોની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. રાત્રિ દરમિયાન વિશેષ પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે. આજે વહેલી સવારે દિલ્હીથી આવતી ટ્રેનોના કોચ અને મુસાફરોનું બોમ્બ ડિટેક્શન સ્ક્વોડ અને મેટલ ડિટેક્ટર મારફતે ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિકારીઓએ નાગરિકોને કોઈ પણ શંકાસ્પદ વાહન, વ્યક્તિ કે ચીજવસ્તુ અંગે તાત્કાલિક માહિતી આપવા અપીલ કરી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય.
સરદાર પટેલની 150મી જન્મ જયંતી:આણંદમાં પદયાત્રાના આયોજન માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે યુવા પેઢીને રાષ્ટ્રીય એકતા પ્રત્યે પ્રેરિત કરવા આણંદ જિલ્લામાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રાના સુચારુ આયોજન માટે કલેક્ટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, આણંદ ખાતે એક બેઠક યોજાઈ હતી. કલેક્ટરે બેઠકમાં જણાવ્યું હતું કે, આગામી 19 નવેમ્બર, 2025 ના રોજ આણંદ ખાતે યોજાનારી આ પદયાત્રા સવારે 9 કલાકે અમૂલ ડેરી સ્થિત સરદાર પટેલના સ્ટેચ્યુથી પ્રસ્થાન કરશે. ત્યાંથી પદયાત્રા ગોદી ખાતે ગાંધીજીના સ્ટેચ્યુ થઈને મહાનગરપાલિકાની ઓફિસ તરફ આગળ વધશે. આગળ વધતા, પદયાત્રા ગામડીવડ, બેઠક મંદિર, વહેરાઈ માતા અને અંબાજી મંદિર થઈને ટાઉનહોલ ખાતે સમાપ્ત થશે. પદયાત્રાના માર્ગ પર વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ટાઉનહોલ ખાતે સ્વદેશી મેળાનું પણ આયોજન કરવામાં આવશે. વિવિધ સમાજના આગેવાનો અને સંગઠનો દ્વારા આ પદયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. સરદાર સાહેબની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને ભાવાંજલિ અર્પણ કરવામાં આવશે. આયોજન બેઠકમાં કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પારડી નગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર પદ પર વહીવટી કારણોસર ફેરફાર કરવામાં આવ્યો છે. હાલના સેનેટરી ઇન્સ્પેક્ટર ભાવેશ પટેલને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરાયા છે. તેમની જગ્યાએ નડિયાદ મહાનગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મેહુલ પરમારને નવી નિમણૂક અપાઈ છે. ગાંધીનગર સ્થિત મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશનના નાયબ કમિશનર દ્વારા આ બદલીનો આદેશ જારી કરાયો હતો. આ અંગે નડિયાદ મહાનગરપાલિકા કમિશનર, પારડી નગરપાલિકાના ચીફ ઓફિસર અને સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી છે. મેહુલ પરમારે આજે પારડી નગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. ભૂતપૂર્વ ઇન્સ્પેક્ટર ભાવેશ પટેલને હાલ હોલ્ડ પર મુકવામાં આવ્યા છે. આ અંગે આરોગ્ય ચેરમેન કિરણ પટેલે જણાવ્યું હતું કે, 'નગરપાલિકાના આરોગ્ય વિભાગમાં કામગીરી વધુ સુચારુ બને તે હેતુસર આ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે.'
ગાંધીનગર જિલ્લાની ભૂસ્તર તંત્રની મહિલા અધિકારી સહિતની ટીમે કલોલ તાલુકા વિસ્તારમાં રેતી ચોરીનું ડમ્પર પકડતાં જ કાયદાનો ડર રાખ્યા વિના માફિયાઓએ ફિલ્મી ઢબે કારમાં પીછો કરી ટીમને બાનમાં લઈ ધમકીઓ હતી. બાદમાં રૂ.3.23 લાખની 43.44 મેટ્રિક ટન ગેરકાયદેસર રેતીનો જથ્થો ખાલી કરીને ખનીજમાફીયાઓ ડમ્પર લઈને ફરાર થઈ ગયાની ઘટના પકલોલ તાલુકા પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે. ઉલ્લેખનીય છેકે સ્વતંત્રતા પર્વ નિમિત્તે ગૃહ મંત્રી હર્ષ સંઘવી ધ્વારા ભૂસ્તર તંત્રની આ મહિલા અધિકારીનું પ્રશસ્તિ પત્ર આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું. મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી દેવયાનીબા જાડેજાની ટીમે રેતી ચોરી ઝડપી હતીરાજ્યમાં ગેરકાયદે ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓની હિંમત એટલી વધી ગઈ છે કે તેઓ હવે ફરજ પર હાજર સરકારી મહિલા અધિકારીઓ પર હુમલો કરી તેમને બાનમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી જ એક ઘટના કલોલ તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારમાં ઘટી છે.મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી કચેરીમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા દેવયાનીબા મહેન્દ્રસિંહ જાડેજા તેમની ટીમ સાથે ગઈકાલે ગાંધીનગર-છત્રાલ હાઇવે પર રૂટિન ચેકિંગમાં હતા. આ દરમિયાન તેમણે એસીયન ટ્યુબ્સ પ્રાઇવેટ લીમીટેડના ગેટ પાસે GJ-02-BT-8650 નંબરનું 12 ટાયરનું ડમ્પર પકડ્યું હતું . જોકે ડમ્પર પાસે રોયલ્ટી પાસ કે આધાર પુરાવા નહોતા.જેના પગલે ટીમે ડમ્પરનું વજન કરાવતા 43.44 મેટ્રિક ટન સાદી રેતી મળી આવી. આ રેતીચોરી બદલ નિયમ મુજબ રૂ.3,23,212 નો દંડ વસૂલવા માટે ટીમે ડમ્પરને ગાંધીનગર કલેક્ટર કચેરી લઈ જવાની કાર્યવાહી શરૂ કરી હતી.ત્યારે કલોલ આંબેડકર ત્રણ રસ્તા ઓવરબ્રિજ ઉતર્યા બાદ બે બાઇક પર સવાર ત્રણ ઇસમોએ આવીને ડમ્પર ઊભું રખાવીને 'શેઠ સાથે વાત કરો' તેમ જણાવ્યું હતું. આ સમયે એક લાલ ટી-શર્ટ પહેરેલા ઈસમે સરકારી ગાડી પાસે આવીને મહિલા અધિકારી સહિતની ટીમને ધમકાવી ગાળો બોલી ડમ્પરના ડ્રાઇવરને ગાડી ભગાડી મૂકવા કહ્યું હતું. મહિલા અધિકારીની કારના કાફલાને રોકી ડમ્પરચાલક ફરારભૂસ્તર વિભાગની ટીમે તેનો પીછો શરૂ કર્યો હતો. ત્યારે ફિલ્મી ઢબે માફિયાઓની બ્લેક ફોર્ચ્યુનર (GJ-02-EC-2590) અને સફેદ ક્રેટા (GJ-18-BL-3312) ગાડીઓએ મહિલા અધિકારીની સરકારી ગાડીને આગળ-પાછળથી ધીમી ગતિએ કોર્ડન કરીને ડમ્પરને ભાગી જવામાં મદદ કરી હતી. બાદમાં કલોલ સઈજ ગામની સીમમાં લક્ષ્મીનગર સોસાયટી તરફ ખાંચામાં ટીમ પહોચી હતી. તે વખતે એક સફેદ કલરની આઇ 10 ગાડી (GJ02RB0549) ખાંચાના વળાંક ઉપર ઉભી રહી ગઈ હતી. જેને બહુ હોર્ન મારવા છતાં હટી ન હતી. અને થોડીવાર બાદ આઈ 10 સાઇડમાં થતાં ટીમ આગળ પહોંચે ત્યાં સુધીમાં લક્ષ્મીનગર સોસાયટી ખાતે રેતી ખાલી કરીને ડમ્પર લઈ ડ્રાઈવર નાસી ગયો હતો. બાદમાં એક મેટાલીક ગ્રે કલરની કીયા ગાડીમાંથી એક ઇસમ આવીને સરકારી ગાડીના કાચ ઉપર થપાટો મારી બીભત્સ ગાળો બોલી ત્યાંથી જતા રહેવાની ધમકીઓ આપવા લાગ્યો હતો. આ ઘટનાથી મહીલા અધિકારી સહિતની ટીમ ફફડી ઉઠ્યા હતા. આ અંગે કલોલ તાલુકા પોલીસે ગુનો દાખલ કરી ભૂમાફિયાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ચાર મહિલા અધિકારીની ટીમ દ્વારા એક વર્ષમાં 366 કેસ કરી 5 કરોડથી વધુના દંડની વસૂલાતઉલ્લેખનીય છેકે મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી પ્રણવ સિંહના નેતૃત્વમાં કાર્યરત ચાર મહિલા અધિકારીઓની ટીમ ધ્વારા વર્ષ 2024-25માં ટીમે 366 માઇનિંગ કેસ નોંધી 5.16 કરોડનો દંડ વસૂલ્યો હતો. એજ રીતે વર્ષ 2025-26ના માત્ર ચાર મહિનામાં જ 255 કેસ કરી 5.51 કરોડનો દંડ વસૂલ કર્યો હતો. આ મહિલા અધિકારીઓનું સ્વતંત્રતા પર્વ નિમિત્તે ગૃહ મંત્રી હર્ષ સંઘવી ધ્વારા પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરાયું હતું. જે પૈકીના જાંબાજ મહિલા અધિકારી દેવયાનીબા મહેન્દ્રસિંહ જાડેજા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દિવાળી વેકેશન બાદ આજથી (11 નવેમ્બર) સ્નાતક કક્ષાના સેમેસ્ટર-5 અને અનુસ્નાતકના સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં 115 કેન્દ્રો પરથી UG સેમ.5 અને PG સેમ.3ના 50,228 વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે, ત્યારે આ પરીક્ષામાં દિવ્ય ભાસ્કર ઇમ્પેક્ટ સ્વરૂપે BCAમાં પ્રેક્ટિકલ વિષયની પરીક્ષા થીયરીમાં લેવાતી હતી તે રદ થઈ ચૂકી છે. પ્રેક્ટીકલ વિષયનું પેપર પ્રેક્ટીકલમાં જ લેવાની શરૂઆત થઈ ચૂકી છે, જેનાથી વિદ્યાર્થીઓને મોટો ફાયદો થયો છે. આજથી શરૂ થયેલી આ પરીક્ષા દરમિયાન 89 ઓબ્ઝર્વર સતત નિગરાની રાખશે. આ સાથે જ પરીક્ષા કેન્દ્રો ઉપર રાખવામાં આવેલા CCTV કેમેરાના મોનિટરિંગ થકી ગેરરીતિ અટકાવવામાં આવશે. પ્રેક્ટીકલ વિષયની થિયરીમાં લેવાતી પરીક્ષા આ વખતથી બંધઃ રીયા કપુરીયાસૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કણસાગરા કોલેજની BCA સેમેસ્ટર-5ની પરીક્ષા આપતી વિદ્યાર્થિની રીયા કપુરીયાએ જણાવ્યું હતું કે, દિવાળી પહેલા મારી ઇન્ટર્નલ એક્ઝામ લેવાઈ ગઈ હતી અને વેકેશનમાં રીડિંગનો સમય મળ્યો. જેથી વેકેશન બાદની આ પરીક્ષામાં ખૂબ જ સારી તૈયારી છે. પ્રેક્ટીકલ વિષયની પરીક્ષા થિયરીમાં લેવામાં આવતી હતી, જે આ વખતથી બંધ થઈ ગઈ છે અને પ્રેક્ટીકલ વિષયની પરીક્ષા પ્રેક્ટીકલમાં જ લેવાઈ રહી છે, જે અમારા માટે ખુશીની વાત છે. પ્રેક્ટીકલ વિષય થિયરીમાં લખવો હાર્ડ હોય છે. જોકે પ્રેક્ટીકલ વિષયની પરીક્ષા કોમ્પ્યુટરમાં આપવાની હોવાથી સરળતા રહે છે. આગળ ગ્રાફિક્સ ક્ષેત્રે આગળ વધવા માંગુ છું. બે સેશનમાં પરીક્ષા લેવાનું શરૂઃ ડૉ. સ્નેહલ કોટકજ્યારે આ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સ્નેહલ કોટકે જણાવ્યું હતું કે, દિવાળી પછીના શૈક્ષણિક ક્ષેત્રનો પ્રારંભ થયો છે, જેમાં સ્નાતક કક્ષાના સેમેસ્ટર- 5 અને અનુસ્નાતકના સેમેસ્ટર- 3ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો છે. સવારે 10.30 અને બપોરે 2.30 વાગ્યાથી એમ 2 સેશનમાં પરીક્ષા લેવાનું શરૂ થયું છે. આ કોલેજમાં 250 જેટલી દીકરીઓ પરીક્ષા આપી રહી છે. યુનિવર્સિટી દ્વારા હાર્ડ કોપીમાં પેપર મોકલવાને બદલે પ્રશ્ન પેપર ડિલિવરી સિસ્ટમથી સોફ્ટ કોપીમાં ઇમેલ મારફત પેપરો મોકલવામાં આવી રહ્યા છે, તે ખૂબ જ સારી બાબત છે. આ ઉપરાંત સીસીટીવી સર્વેન્સ અને સુપરવાઇઝર નિગરાનીમાં પરીક્ષા લેવામાં આવી રહી છે. 115 પરીક્ષા કેન્દ્રો પર CCTV અને સુપરવાઇઝરથી નજરઃ ડૉ. મનીષ શાહયુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે જણાવ્યુ હતુ કે, દિવાળી બાદની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં બીએ સેમેસ્ટર- 5 રેગ્યુલરમાં 14465 અને એક્સટર્નલમાં 2160 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે બીકોમ સેમેસ્ટર- 5 રેગ્યુલરમાં 11980 તો એક્સટર્નલમાં 385 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ ઉપરાંત સેમેસ્ટર- 5માં બીસીએમાં 6110, બીબીએમાં 3022 અને એલએલબીમાં 2290 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ સાથે જ એમકોમ સેમેસ્ટર- 3 રેગ્યુલરમાં 1675 અને એક્સ્ટર્નલમાં 1680 વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે. કુલ 37 કોર્સના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. 115 પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી અને સુપરવાઇઝર સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે, જેથી એક પણ વિદ્યાર્થી પરીક્ષા ચોરી કરતા ન ઝડપાય. કોમ્પ્યુટરની પ્રેક્ટીકલ પરીક્ષા થિયરીમાં લેવાતા હોશિયાદ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતાંઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા BCA સેમેસ્ટર-4નું પરિણામ જુલાઈ, 2025માં જાહેર થયું હતું, જેમાં 6091માંથી 1450 વિદ્યાર્થીઓ એક માત્ર પ્રેક્ટિકલ બેઝડ ઓન CS -22, 23, 24 વિષયમાં નાપાસ થયા હતા. જે બાબત દિવ્યભાસ્કર ડિજિટલને ધ્યાને આવતા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું અને તેમાં સામે આવ્યું હતું કે કોમ્પ્યુટરની પ્રેક્ટીકલ વિષયની પરીક્ષા થિયરીમાં લેવામાં આવતી હતી. જેને લીધે હોશિયાર વિદ્યાર્થીઓ પણ નાપાસ થયા હતા. વિદ્યાર્થીઓની આ સમસ્યાને ઉજાગર કર્યા બાદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશી જાગ્યા હતા અને પ્રેક્ટીકલ વિષયની પરીક્ષા પ્રેક્ટિકલમાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેથી BCA ના તમામ સેમેસ્ટરમાં હવે પ્રેક્ટીકલ વિષયની પરીક્ષા પ્રેક્ટીકલમાં જ લેવામાં આવશે. વિગતવાર વાંચવા ક્લિક કરો... બોલો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ BCAના પ્રેકટિકલ વિષયની પરીક્ષા લેખિતમાં લીધી, 6091માંથી 1450 વિદ્યાર્થી નાપાસ થતા KCG પર ઠીકરું ફોડાયું, એક જ કોલેજના 11 વિદ્યાર્થીને 0 માર્ક
દસાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત સારવાર મંડળ અને ફોલ્હેરી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક ફેફસા અને છાતીના રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 354 લોકોની આરોગ્ય તપાસ કરાઈ હતી. તપાસ કરાયેલા લોકોમાંથી 47 વ્યક્તિઓમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાયપરટેન્શન અને શ્વાસ સંબંધિત વિવિધ રોગોની ઓળખ થઈ હતી. આ ઉપરાંત, 89 લોકોના છાતીના એક્સ-રે લેવામાં આવ્યા હતા, જેમાંથી ઘણાને ફેફસા સંબંધિત પ્રારંભિક તકલીફો વિશે જાણકારી મળી હતી. આ કેમ્પનો મુખ્ય હેતુ ક્ષયરોગ (ટી.બી.), શ્વાસની તકલીફ, અસ્થમા, ફેફસાના ચેપ અને અન્ય શ્વસન સંબંધિત બીમારીઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. તબીબોએ લોકોને લાંબા સમયથી ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, તાવ કે વજન ઘટવા જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી તપાસ કરાવવાની સલાહ આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આવા લક્ષણો શરૂઆતમાં સામાન્ય લાગી શકે છે, પરંતુ સમયસર તપાસ ગંભીર બીમારીઓથી બચાવી શકે છે. આ આરોગ્ય નિદાન કેમ્પમાં ગુજરાત સારવાર મંડળના પ્રમુખ પારવબેન, બિમલાબા હુરા, શશીબેન, જાનકીબેન, સેક્રેટરી ઉષાબેન, ગણેશભાઈ તેમજ ફોલ્હેરી ટ્રસ્ટના પ્રતિનિધિ અનિકેત પટેલ અને નીલ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક, નર્સિંગ સ્ટાફ, ઇન્ટર્નશિપ સ્ટુડન્ટ્સ, કર્મચારીઓ, તાલુકા આરોગ્ય ટીમ, તબીબી અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા ફેફસા અને શ્વાસ સંબંધિત રોગોની સમયસર ઓળખ, નિદાન અને સારવાર માટે લોકોમાં જાગૃતિ ફેલાઈ હતી. આનાથી લોકોમાં આરોગ્ય પ્રત્યે સજાગતા અને તબીબી તપાસના મહત્વ અંગે સકારાત્મક સંદેશો પહોંચ્યો હતો.
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેના પગલે ગુજરાતને પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. બનાસકાંઠા પોલીસે દિલ્હી-કંડલા નેશનલ હાઇવે પર સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે. ગઈકાલે સાંજે દિલ્હીમાં એક ચાલતી કારમાં બ્લાસ્ટ થયો હતો, જેના પગલે સમગ્ર ભારતમાં એલર્ટ જાહેર કરાયું હતું. આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ સક્રિય બની છે. ગુજરાતમાં પણ એલર્ટ જાહેર થયા બાદ રેલવે સ્ટેશનો, હોટલો, શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે. રાજ્યને જોડતા માર્ગો પર આવેલી સરહદો પર પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને, દિલ્હી-કંડલા નેશનલ હાઇવે પર પાલનપુર તાલુકાના ખેમાણા ટોલનાકા પાસે પોલીસ દ્વારા વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાન અને દિલ્હી તરફથી આવતા વાહનોની સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ તેમને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. વહેલી સવારથી જ આ ચેકિંગ ચાલુ છે.
દિલ્લીમાં બ્લાસ્ટની ઘટના બાદ દેશના વિવિધ રાજ્યોમાં પોલીસ દ્વાર સઘન ચેકીંગ હાથ ધરાયું છે, જેમાં ખાસ કરીને મોટા મોટા પ્રવાસન ધામો અને ધાર્મિક સ્થળો પર પોલીસ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સરકાર દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને નર્મદા ડેમ પણ હાઈ એલર્ટ પર મુક્યો હોય જ્યાં આવનારા પ્રવાસીઓનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ડીજીપીની સૂચનાથી નર્મદા એસ.પી વિશાખા ડાબરાલ અને સેનાપતિ SRP ગ્રુપ 18ને સૂચના આપી છે. નર્મદા જિલ્લાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને નર્મદા ડેમ ખાતે પોલીસ સહિત અન્ય સલામતી દળોની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. અને પ્રત્યેક પ્રવાસી તથા વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. SoUની બસોમાં પણ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લાની હાલની સ્થિતિની વાત કરીએ તો સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ભારત પર્વની ઉજવણી કરવામાં આવી રહ્યા છે. ભારત પર્વની ઊજવણીમાં રોજે રોજ અલગ અલગ રાજ્યોમાં મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો તથા મંત્રીઓ સહિતના વિવિઆઈપી મહેમાનો આવી રહ્યા છે ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને નર્મદા ડેમ સહિત આસપાસના વિસ્તારોમાં ડોગ સ્ક્વોર્ડ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે. નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે.આગામી 15મી નવેમ્બરે પીએમ મોદીનો ડેડિયાપાડા ખાતે મોટો કાર્યક્રમ પણ હોવાને લીધે અન્ય રાજ્યોમાંથી કોઈ ઘૂંસપેઠ ના થાય એને લઈને પણ પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
ભરૂચના જુના તવરામાં TPL સીઝન-2 માટે ઓક્શન:170થી વધુ ખેલાડીઓ ઉત્સાહભેર જોડાયા, 10 ટીમો મેદાને ઉતરશે
ભરૂચ તાલુકાના જુના તવરા ગામે જુના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ (TPL) સીઝન-2 માટે 2025નું ઓક્શન યોજાયું હતું. આ ઓક્શનમાં ગામના વિવિધ સમાજોના 170થી વધુ યુવા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં 10 ટીમોની રચના કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં ક્રિકેટ પ્રત્યે રસ વધારવાનો અને તેમને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક મંચ પૂરો પાડવાનો છે. સતત બીજા વર્ષે ગામના યુવા આગેવાનો દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન ગામના યુવાનોમાં એકતા, સહકાર અને સામાજિક જોડાણને મજબૂત બનાવે છે. ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો વિસ્તાર ઝડપથી શહેરીકરણ પામી રહ્યો છે અને નવા ભરૂચ તરીકે વિકસી રહ્યો છે. આવા સમયે ગ્રામ્ય યુવાનોમાં પરસ્પર પ્રેમ, રમતગમત અને સમાજસેવા પ્રત્યેની ભાવના જળવાઈ રહે તે હેતુથી TPLનું આયોજન કરાયું છે. ઓક્શન પ્રક્રિયા દરમિયાન વિવિધ ટીમ માલિકો અને ખેલાડીઓએ ભાગ લીધો હતો. ઓર્ગેનાઈઝર યુવા આગેવાનોએ જણાવ્યું કે, આ ટુર્નામેન્ટ ગામના દરેક સમાજના યુવાનોને કોઈપણ ભેદભાવ વિના એક મંચ પર લાવવાનું માધ્યમ છે. ગામના ખેલપ્રેમીઓ હવે TPL-2025ની મેચોની રાહ જોઈ રહ્યા છે. આગામી દિવસોમાં જુના તવરા ક્રિકેટ મેદાન પર થનારી મેચો માટે તમામ ટીમો તૈયારીઓમાં લાગી ગઈ છે.
દિલ્હીમાં થયેલા કાર વિસ્ફોટની ઘટના બાદ ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે અરવલ્લી જિલ્લામાં, ખાસ કરીને સરહદી વિસ્તારોમાં, સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. ગતરોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે એક ચાલુ કારમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 9 લોકોના મોત થયા હતા અને 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ સમગ્ર દેશમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. આ એલર્ટના પગલે અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે. ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલી અણસોલ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સવારથી જ કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા અન્ય રાજ્યોમાંથી આવતા નાના-મોટા તમામ વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. શામળાજી નજીક આવેલી આ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે. ગુજરાતમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ પ્રવેશીને અરાજકતા ન ફેલાવે તે સુનિશ્ચિત કરવા માટે અણસોલ ચેકપોસ્ટ પર સતત પોલીસ ચેકિંગ ચાલુ છે.
મહારાષ્ટ્રના નાસિક ખાતે ડિવિઝનલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં યોજાયેલી બે દિવસીય વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશીપ 2025માં સાબરકાંઠા જિલ્લાના ત્રણ ખેલાડીઓએ મેડલ જીતીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ ચેમ્પિયનશીપમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગોવા અને દીવ-દમણના ખેલાડીઓએ ભાગ લીધો હતો. સાબરકાંઠા જિલ્લામાંથી કરાટે કોચ જુજારસિંહ કે. વાઘેલાના નેતૃત્વ હેઠળ કુલ છ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ છ ખેલાડીઓમાંથી ત્રણ ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જોષી રુદ્ર સચિનભાઈએ અંડર-14 વર્ષ કુમિતે 30 કિલોગ્રામ વજન ગ્રુપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મોડીયા બાર્લિન નિરવકુમારે અંડર-14 વર્ષ કુમિતે 30 કિલોગ્રામ વજન ગ્રુપમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે નાયી સાન્વી કપિલભાઈએ અંડર-14 વર્ષ કુમિતે 40 કિલોગ્રામ વજન ગ્રુપમાં બ્રોન્ઝ મેડલ જીતીને જિલ્લા અને રાજ્યનું નામ રોશન કર્યું હતું. આ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કરાટે એસોસિએશન દ્વારા તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
અમદાવાદના વાડજમાં પાન પાર્લર ચલાવતા આધેડને એક શખ્સે PAYTMના કર્મચારીની ઓળખ આપીને લોનનો હપ્તો ઓછો કરાવવાનું કહીને આધેડનો મોબાઈલ લઈને તેમની જાણ બહાર તેમના ફોનમાંથી અલગ-અલગ ટ્રાન્જેક્શનથી 93 હાજર બીજા ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. આ અંગે આધેડે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવકે પોતાની ઓળખ PAYTMના કર્મચારી તરીકેની આપીજુના વાડજમાં રહેતા હસમુખભાઈ વાઘેલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ તેમના ઘરની નીચે પાન પાર્લર ચલાવે છે. 20 ઓગસ્ટના રોજ બપોરના સમયે તેમના ગલ્લા પર એક અજાણ્યો વ્યક્તિ બાઇક લઈને આવ્યો હતો, જેણે પોતાની ઓળખ PAYTMના કર્મચારી તરીકેની આપી હતી. અજાણ્યા વ્યક્તિ એ તેમને કહ્યું હતું કે, તે ચેક કરવા આવ્યો છે કે તેમની paytm બરાબર ચાલે છે. લોનના હપ્તા રેગ્યુલર ચાલે છે કે કેમ. લોનનો હપ્તો ઓછો કરવાનું કહી એક રૂપિયો ટ્રાન્સફર કરાવ્યોઅજાણ્યા વ્યક્તિએ લોનની વિગત પૂછી હતી. જે બાદ હસમુખભાઈને કહ્યું હતું કે, તમારે લોનનો હપ્તો ઓછો કરાવો છે? તેથી હસમુખભાઈ હા પાડતા અજાણ્યા વ્યક્તિએ તેમને તેમના જ સ્કેનરમાં એક રૂપિયો ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. હસમુખભાઈએ એક રૂપિયો ટ્રાન્સફર કર્યા બાદ અજાણ્યા વ્યક્તિએ હસમુખભાઈનો મોબાઈલ માંગ્યો હતો. હસમુખભાઈનો મોબાઇલ લઈને થોડીવાર મોબાઇલમાં paytm એપ્લિકેશન ખુલ્લી રાખી હતી. હસમુખભાઈના ગ્રાહક આવતા અજાણ્યા વ્યક્તિએ હસમુખભાઈની નજર ચૂકવીને 48000 અને 45000 એમ બે અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી 93 હજાર રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા.પૈસા ટ્રાન્સફર કર્યા બાદ ત્યાંથી લોન ના હપ્તા ઓછા થઈ જશે તેવું કહીને અજાણ્યો વ્યક્તિ નીકળી ગયો હતો. દીકરાએ તપાસ કરતા પૈસા ઉપડી ગયાની જાણ થઈઅજાણ્યા વ્યક્તિને ગયા બાદ બે દિવસ સુધી હસમુખભાઈના મોબાઈલ પર બેંકના મેસેજ આવતા બંધ થઈ ગયા હતા, જેથી તેમણે તેમના દીકરાને બતાવ્યું હતું. તેમના દીકરાએ તપાસ કરતા તેમના ખાતામાંથી 93,000 ઉપડી ગયા હતા. તપાસ કરતા જાણ થઈ હતી કે, અજાણ્યા વ્યક્તિ જ paytmનો કર્મચારી બનીને આવ્યો હતો, ત્યારે તેમની નજર ચૂકવીને 93 હજાર અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. આ અંગે હસમુખભાઈએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ શરૂ કરી છે.
નવલપુરમાં ACB નો ભ્રષ્ટાચાર વિરોધી જાગૃતિ કાર્યક્રમ:NSS વિદ્યાર્થિનીઓએ નાટક દ્વારા જાગૃતિ ફેલાવી
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના નવલપુર ગામે હિંમતનગર ACB પોલીસ સ્ટેશન દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હિંમતનગરની વિધાનગરી આર્ટસ કોલેજના NSS કેમ્પની વિદ્યાર્થિનીઓએ નાટક રજૂ કરીને લોકોમાં જાગૃતિ ફેલાવી હતી. સાબરકાંઠા ACB પોલીસ સ્ટેશન દ્વારા જાહેર જનતામાં ભ્રષ્ટાચાર વિરોધી અભિગમ કેળવવા અને જનજાગૃતિ લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વિજીલન્સ અવેરનેસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આ પહેલ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન, વિદ્યાર્થિનીઓએ ACBની જાગૃતિ અંગે નાટક દ્વારા માહિતી આપી હતી. ગામની જાહેર જનતાને ટોલ ફ્રી નંબર 1064 અંગેના પેમ્ફલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે જો કોઈ સરકારી અધિકારી કે કર્મચારી દ્વારા લાંચની માંગણી કરવામાં આવે તો તેની જાણ ACB કચેરીના ટોલ ફ્રી નંબર 1064, ફોન નંબર 079-22866772, ફેક્સ નંબર 079-22869228, અથવા ઈમેલ polstn-acb-sab@gujarat.gov.in પર કરી શકાય છે. કચેરી સમય દરમિયાન સાબરકાંઠા ACB પોલીસ સ્ટેશનમાં રૂબરૂ સંપર્ક કરવા અથવા સીડી કે પેનડ્રાઈવમાં માહિતી મોકલવા પણ જણાવાયું હતું.
રાજકોટનાં મવડી પોલીસ હેડક્વાર્ટરમાં ગ્રામ્ય આજે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર દ્વારા રાજકોટ ગ્રામ્ય અને જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે સેરિમોનિયલ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇન્સ્પેક્શનમાં આવનારા પડકારોને પહોંચી વળવા માટે પોલીસની તૈયારીઓ અને કાયદો વ્યવસ્થા જાળવવા સંબંધિત તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ નિરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ દળની સજ્જતા, તાલીમ અને આંતરિક વ્યવસ્થાપનની ચકાસણી કરવાનો હતો. ચકાસણી બાદ અશોકકુમારે જણાવ્યું હતું કે, રાજકોટ ગ્રામ્ય અને જિલ્લા પોલીસનાં જવાનો કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. રાજકોટ રેન્જ આઈજી અશોકકુમારે જણાવ્યું હતું કે, રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે આજે વાર્ષિક પરેડનું આયોજન થયું છે. આ પરેડ સાથે સાથે આવનારા વર્ષમાં પોલીસ સામે જે પણ પડકારો છે, તેને પહોંચી વળવા માટેની તમામ પ્રકારની જે તૈયારીઓ કરવામાં આવેલી છે તેની સમીક્ષા કરવામાં આવી છે. આ ઇન્સ્પેક્શન નિમિત્તે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા કોઈપણ આતંકવાદી પડકારનો સામનો કેવી રીતે કરી શકાય તેની તૈયારીઓ તેમજ રિહર્સલ પણ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, સામાન્ય કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની તૈયારીઓ, જેમ કે તોફાનોને નિયંત્રિત કરવા અને ભીડ નિયંત્રણ માટે મોકડ્રિલ સહિત તમામ પ્રકારની પોલીસની તૈયારીઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ તમામ પડકારોનો સામનો કરવા માટે કટિબદ્ધ છે. અને તેમની તૈયારીઓ સંપૂર્ણ રીતે કોઈપણ પરિસ્થિતિને અનુકૂળ છે. તાજેતરમાં દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ઘટનાના સંદર્ભમાં, તેમણે સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા પર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, છેલ્લા લગભગ 18 કલાકથી પોલીસ દ્વારા સંપૂર્ણ ચેકિંગ અને સુરક્ષાની કાર્યવાહી સતત ચાલુ છે. આ કાર્યવાહીમાં પોલીસ દ્વારા વ્હીકલ ચેકિંગ, સાર્વજનિક સ્થળોનું ચેકિંગ, રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો અને ભીડભાડવાળા વિસ્તારોમાં સઘન ચેકિંગની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. એટલું જ નહીં, દરિયાઈ વિસ્તારમાં પણ અમારી સખત વ્હીકલ ચેકિંગની કામગીરી, શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી અને તમામ લેન્ડિંગ પોઈન્ટ્સ પર ચેકિંગની કામગીરી સંપૂર્ણ રીતે ચાલુ છે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવી શકાય. અશોક કુમારે જાહેર જનતાને પણ અપીલ કરી હતી કે તેઓ કોઈપણ પ્રકારની શંકા, કુશંકા કે અફવાઓ ફેલાવે નહીં. તેમજ જો કોઈ વ્યક્તિ પાસે સચોટ બાતમી હોય, કોઈ પણ લાવારીસ વસ્તુ કે વ્હીકલ જોવા મળે તો પણ તાત્કાલિક પોલીસને ધ્યાન દોરવું જેથી પોલીસ ત્વરિત અને કડક પગલાં લઈ શકે. પોલીસ મહાનિરીક્ષકના આ ઇન્સ્પેક્શનનો મુખ્ય ઉદ્દેશ રાજકોટ ગ્રામ્ય પોલીસ દળ માત્ર નિયમિત ફરજો માટે જ નહીં, પરંતુ રાષ્ટ્રિય સુરક્ષા અને કાયદાના ગંભીર પડકારો માટે સંપૂર્ણ રીતે તૈયાર છે કે કેમ તે ચકાસવાનો હતો.

28 C