ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અંતર્ગત પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) કેડર તથા લોકરક્ષક કેડરની શારીરિક કસોટી આગામી 21 જાન્યુઆરી, 2026થી શરૂ થવાની છે. શારીરિક કસોટી માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા અંગેની વિગત ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, તેમ ભરતી બોર્ડ દ્વારા જણાવાયું છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ નિયમિત રીતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની અધિકૃત વેબસાઇટ પર નજર રાખે અને આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે. ઉલ્લેખનીય છે કે PSI અને લોકરક્ષક જેવી મહત્વપૂર્ણ કેડરની ભરતી માટે શારીરિક કસોટી મહત્વપૂર્ણ માપદંડ ગણાય છે. તેથી ઉમેદવારોને તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા તથા શારીરિક ધોરણો અંગે પૂર્વ તૈયારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.
બગદાણા હુમલા મામલે બોટાદ કોળી સમાજમાં રોષ:આરોપીઓને કડક સજાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર
બગદાણામાં કોળી સમાજના યુવક પર થયેલા હુમલાને પગલે બોટાદ જિલ્લા કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે આજે કોળી સમાજ દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર બગદાણાના સેવક નવનીતભાઈ બાલધીયા પર તાજેતરમાં થયેલા હુમલાના વિરોધમાં આપવામાં આવ્યું છે. કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આ હુમલો અત્યંત ગંભીર છે અને આવા કૃત્યોને કોઈપણ ભોગે સહન કરવામાં આવશે નહીં. સમાજે માંગ કરી છે કે આ સમગ્ર ઘટનાની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. દોષિતોને કાયદા મુજબ કડકમાં કડક સજા ફટકારવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય.
ગેસ પુરાવવા જવાનું કહી રિક્ષાચાલક અને બે ઈસમો વૃદ્ધના નાણાં ચોરી ફરાર બન્યા ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના નવાગામ (બડેલી) ખાતે રહેતા 75 વર્ષીય વૃદ્ધ ખેડૂત રાણાભાઇ કેશરભાઈ પરમાર સાથે રીક્ષામાં રૂ. 22,500ની ચોરીનો બનાવ બન્યો છે ડુંગળી વેચીને પરત ફરતી વખતે રીક્ષામાં બેઠેલા અન્ય બે શખ્સો અને ડ્રાઈવરે તેમની નજર ચૂકવી પૈસા ચોરી લીધા હતા, આ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદી રાણાભાઇ પરમારે ગત તા. 29 ડિસેમ્બર, 2025ના રોજ સવારે 9 વાગ્યાના અરસામાં પાલિતાણા માર્કેટિંગ યાર્ડમાં ચેતક ઓનિયન નામની પેઢીએ ડુંગળીનું વેચાણ કર્યું હતું, આ વેચાણ પેટે તેમને રૂ. 39,679 રોકડા મળ્યા હતા, જે તેમણે પોતાના બનીયાનના ખિસ્સામાં રાખ્યા હતા, બપોરના સાડા બાર વાગ્યાની આસપાસ તેઓ માર્કેટિંગ યાર્ડ રોડ પરથી એક લીલા-પીળા કલરની રીક્ષામાં બેઠા હતા, રીક્ષામાં તેમની જમણી બાજુએ અન્ય બે વ્યક્તિઓ પણ બેઠા હતા, બપોરના એક વાગ્યાના સુમારે રીક્ષાચાલકે તેમને રંગોળી પાસે ઉતારીને જણાવ્યું કે, તેમને ગેસ પુરાવવા જવાનું છે અને ગેસ પુરાવીને પાછા આવશે. રાણાભાઇએ એક કલાક સુધી રીક્ષાની રાહ જોઈ, પરંતુ રીક્ષાચાલક કે અન્ય કોઈ પરત ન આવતા તેઓ બીજા વાહન દ્વારા પોતાના ઘરે ગયા હતા, ઘરે જઈને તેમણે બનીયાનના ખિસ્સામાંથી પૈસા ગણી જોતા રૂ.22,500 ઓછા નીકળ્યા હતા આથી તેમને ચોરી થઈ હોવાનો અહેસાસ થયો હતો તેમણે તાત્કાલિક પોતાના દીકરા નરેશ અને ભત્રીજા નીતિન પરમારને આ અંગે જાણ કરી હતી ત્યારબાદ ત્રણેય જણાએ બોરતળાવ પોલીસ સ્ટેશન પહોંચીને આ ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદમાં જણાવાયું છે કે, રીક્ષામાં બેઠેલા અન્ય બે શખ્સો અને ડ્રાઈવરે મેળાપીપણું કરીને તેમની નજર ચૂકવી રૂ. 500ના દરની નોટો ચોરી લીધી હતી, આ અંગે બોરતળાવ પોલીસ મથકે રાણાભાઈ એ રીક્ષા ચાલક તથા બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નવસારી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ વાંસદા વિસ્તારમાંથી ડુપ્લિકેટ ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી કુલ 59 શંકાસ્પદ લાઈસન્સ જપ્ત કર્યા છે. આરોપી મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને નકલી લાઈસન્સ બનાવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. SOG ઇન્ચાર્જ પી.આઈ. પી.વાય. ચિત્તેના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત હતી. હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ રઘુભાઈને મળેલી ગુપ્ત બાતમીના આધારે, વાંસદાના મહારાજા ગેસ્ટ હાઉસ સામેથી જિગરકુમાર ભીખુભાઈ પટેલ (રહે. વેલણપુર, ચીખલી) ને અટકાવવામાં આવ્યો હતો. તેની બેગની તલાશી લેતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી જીગર પટેલ તેના શાઓમી મોબાઈલમાં 'પિક્સ આર્ટ' (PicsArt) એપ્લિકેશનનો ઉપયોગ કરતો હતો. તે ગ્રાહકો પાસેથી વોટ્સએપ પર ડોક્યુમેન્ટ મંગાવતો અને પોતાના અસલ લાઈસન્સના ફોટા પર ગ્રાહકની વિગતો એડિટ કરતો હતો. લર્નિંગ લાઈસન્સના નંબરને પાકા લાઈસન્સ તરીકે દર્શાવી તે અસલ જેવી જ દેખાતી નકલી કોપીઓ તૈયાર કરતો હતો. એસ.ઓ.જી. દ્વારા જપ્ત કરાયેલા 59 લાઈસન્સની નવસારી આર.ટી.ઓ.માં ખાતરી કરાતા ચોંકાવનારી વિગતો સામે આવી. 32 લાઈસન્સમાંથી 20નો કોઈ ઓનલાઇન રેકોર્ડ મળ્યો ન હતો, જ્યારે 7 લાઈસન્સ નંબર અન્ય વ્યક્તિઓના નામે ઇસ્યુ થયેલા હતા. આરોપી એરુ સ્થિત 'પરફેક્ટ ઝેરોક્ષ' ખાતેથી આ એડિટ કરેલી ફાઈલોની પી.વી.સી. પ્રિન્ટ કઢાવતો હતો અને દરેક લાઈસન્સ દીઠ ગ્રાહકો પાસેથી ₹4,000 થી ₹4,500 વસૂલતો હતો. વાંસદા પોલીસ સ્ટેશનમાં આરોપી જિગરકુમાર પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 336(3), 337, અને 340(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
વલસાડ જિલ્લાના ઉમરગામમાં આવેલી ભારતી એકેડમી સ્કૂલમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ હતી. 5 કિમીની મેરેથોન દોડ પૂર્ણ કર્યા બાદ બીજા ક્રમે આવેલી 16 વર્ષીય વિદ્યાર્થિની અચાનક ગ્રાઉન્ડ પર જ ઢળી પડી હતી અને ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે પરિવારજનોએ શાળા સંચાલકોની બેદરકારી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. દોડ પૂર્ણ કરીને રોશની ગ્રાઉન્ડ પર જ ઢળી પડીમળતી માહિતી મુજબ, ઉમરગામની ભારતી એકેડમી સ્કૂલમાં અભ્યાસ કરતી રોશનિગીરી ગોસ્વામી નામની 16 વર્ષીય વિદ્યાર્થીનીએ શાળા દ્વારા આયોજિત 5 કિમી મેરેથોન દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. રોશનીએ શાનદાર પ્રદર્શન કરી દોડમાં બીજો ક્રમાંક મેળવ્યો હતો. દોડ પૂર્ણ કર્યા બાદ તેણે ફિનિશ લાઇન પાસે શિક્ષકોને પોતાનું નામ પણ નોંધાવ્યું હતું, પરંતુ થોડી જ ક્ષણોમાં તે ગ્રાઉન્ડ પર બેભાન થઈને પડી ગઈ હતી. એમ્બ્યુલન્સ ન બોલાવી કારમાં દવાખાને લઈ ગયાસ્કૂલ ટીચર માધવીએ જણાવ્યું કે મેરેથોન વ્યવસ્થિત પૂર્ણ થઈ હતી અને રોશની બીજા નંબરે આવી હતી, પરંતુ ત્યારબાદ આ અઘટિત ઘટના બની હતી. સાથી વિદ્યાર્થીનીઓએ તેના હાથ-પગ ઘસીને તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી એક વિદ્યાર્થીનીએ કહ્યું કે તેને માઉથ ટુ માઉથ સીપીઆર આપ્યું હતું. ત્યારબાદ તેને તાત્કાલિક કારમાં ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પરિવારના શાળા પર બેદરકારીના આક્ષેપવિદ્યાર્થીનીના પિતા રાકેશગિરીએ શાળા પ્રશાસન સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શાળા પાસે એમ્બ્યુલન્સની કોઈ વ્યવસ્થા નહોતી. મારી દીકરી ગ્રાઉન્ડ પર જ દમ તોડી ચૂકી હતી અને તેઓ તેને અહીં-તહીં ફેરવતા રહ્યા. માતાએ રડતા અવાજે જણાવ્યું કે, સવારે તે રસોઈ બનાવી, ભાઈને ટિફિન આપી અને મને પગે લાગીને મેરેથોનમાં જવા નીકળી હતી. તેને કોઈ બીમારી નહોતી. મૃતક વિદ્યાર્થીનીના સંબંધી જાનવતી બહેને કહ્યું કે આ બાળકી ગ્રાઉન્ડ પર બેભાન થઈ ગઈ અને અડધી કલાક સુધી શિક્ષકોએ રાહ જોઈ કે સારું થઈ જશે, જ્યારે સિરિયસ થઈ ગઈ ત્યારે નાના દવાખાને લઈ ગયા. શાળા સંચાલકો - શિક્ષકો સામે અનેક સવાલો5 કિમી જેવી લાંબી દોડના આયોજન વખતે ગ્રાઉન્ડ પર કોઈ મેડિકલ ટીમ કે એમ્બ્યુલન્સ હાજર ન હોવાનો પરિવારનો આક્ષેપ છે. જો સમયસર CPR જેવી પ્રાથમિક સારવાર મળી હોત તો જીવ બચી શક્યો હોત. આ ઘટનાએ શાળાઓમાં યોજાતી રમતગમતની પ્રવૃત્તિઓ દરમિયાન રાખવામાં આવતી સાવચેતી અને મેડિકલ સજ્જતા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે. હાલમાં આ મામલે વધુ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સીપીઆર અંગે પ્રિન્સિપાલે ગોળ ગોળ જવાબ આપ્યાંશાળાના પ્રિન્સિપાલ રાકેશ શર્માએ કહ્યું કે અમે આ મેરેથોનમાં ભાગ લેતા પહેલા વિદ્યાર્થીના માતા-પિતાની સંમતિ લઈએ છીએ અને જો વિદ્યાર્થી ફીટ હોય તો જ મેરેથોનમાં ભાગ લેવા દઈએ છીએ. આ બાળકી બીજા નંબરે આવી હતી અને મેરેથોન પૂર્ણ કર્યા બાદ બેન્ચ પર બેસી હતી અને બોટલમાંથી પાણી પીધું હતું, ત્યારબાદ એને શ્વાસ ચડવા લાગ્યો હતો. અમારી સ્કૂલની મહિલા ટીમે તેના હાથ ઘસ્યા પણ કાઇ ફરક ન પાડ્યો આથી મેડમની કારમાં તેને ડૉક્ટર લોખંડેના દવાખાને લઈ ગયા હતા. ડોક્ટરે તેને સીપીઆરની જરૂર છે માટે બીજી હોસ્પિટલ લઈ જાઓ એવું કહેતા મીરા ફર્નિચરની બાજુની હોસ્પિટલે લઈ ગયા હતા. ત્યાંનાં ડોક્ટરે કહ્યું કે રેફરલ હોસ્પિટલ લઈ જાઓ. રેફરલ હોસ્પિટલમાં ડોક્ટરે આ બાળકીને મૃત જાહેર કરી. બાળકીને સીપીઆર આપ્યું હતું કે નહી તે સવાલના જવાબમાં પ્રિન્સિપાલ રાકેશ શર્માએ ગોળ ગોળ જવાબ આપ્યાં હતા. એમ્બ્યુલન્સ કેમ બોલાવવામાં ન આવી એ સવાલના જવાબમાં પ્રિન્સિપાલ રાકેશ શર્માએ કહ્યું કે શાળા સુધી એમ્બ્યુલન્સ આવી શકે એવો રસ્તો નથી, અમે આ અંગે ઉપર અનેકવાર રજૂઆતો કરી છે.
અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે મોડાસા તાલુકાની પીએમ શ્રી સાકરિયા પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે શાળાની ભૌતિક અને શૈક્ષણિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટર પારિકે શાળાના આચાર્ય અને શિક્ષકો સાથે શિક્ષણની ગુણવત્તા અંગે ચર્ચા કરી. તેમણે વર્ગખંડમાં જઈને વિદ્યાર્થીઓ સાથે ગણિત અને ગુજરાતી વિષયના વાંચન, લેખન અને જ્ઞાનની ચકાસણી કરી હતી. તેમણે બાલવાટિકા અને ધોરણ ૧-૨ના વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક રમતો પણ રમી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરે વિદ્યાર્થીઓને મૂળભૂત અધિકારો વિશે માહિતગાર કર્યા હતા. તેમણે શાળાના આચાર્ય અને શિક્ષકગણને મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવા પર ભાર મૂક્યો હતો. કલેક્ટરે શાળામાં કાર્યરત મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને અપાતા પોષણ, આરોગ્ય સેવાઓ અને પૂરક આહારની જાણકારી મેળવી. તેમણે વિદ્યાર્થીઓ સાથે મધ્યાહન ભોજન લીધું અને સંતોષ વ્યક્ત કર્યો. સાકરિયા આંગણવાડી કેન્દ્ર ખાતે ચાલતી સેવાઓ, બાળકોના પોષણ, સ્વચ્છતા અને શિક્ષણલક્ષી પ્રવૃત્તિઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, તેમણે આંગણવાડી કેન્દ્રોના નાના બાળકોને બજારમાં મળતા નમકીન પડીકા ન ખાવા, ફળ ખાવા અને મોબાઈલથી દૂર રહેવા માર્ગદર્શન પૂરું પાડ્યું. જિલ્લા કલેક્ટરે વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણ પર સંતોષ વ્યક્ત કરી શાળાને શુભેચ્છાઓ પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન મોડાસા તાલુકા મામલતદાર ગોપીબેન મહેતા, મોડાસા સર્કલ ઓફિસર પંકજભાઈ પટેલ, નાયબ મામલતદાર જે.જે. પટેલ અને મધ્યાહન ભોજન નાયબ મામલતદાર ચારુબેન પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગરમાં સગાઈ તૂટ્યા બાદ એક યુવકે તેની પૂર્વ મંગેતર પર છરી વડે હુમલો કર્યો હતો, આ ઘટનામાં યુવતીને પેટ અને હાથની આંગળીમાં ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે યુવતીની માતાએ ઘોઘા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે,આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદી રેખાબેન ઉર્ફે કાળી અશોકભાઈ ગોહિલ ઉં.વ.40, રહે. ભાવનગરએ ફરિયાદ માં જણાવ્યું હતું કે, તેમની દીકરીની સગાઈ આશરે એક વર્ષ પહેલા સનેસ ગામના ગુલાબ ચુડાસમાના દીકરા કરણ સાથે થઈ હતી જોકે, પાંચ દિવસ પહેલા આ સગાઈ તોડી નાખવામાં આવી હતી. ઘટનાના દિવસે સવારે લગભગ 11 વાગ્યે કરણે રેખાબેનને ફોન કરીને તેમની દીકરી વિશે પૂછ્યું હતું. રેખાબેને જણાવ્યું કે મારી દીકરી બહાર ગઈ છે અને 12:30 વાગ્યા સુધીમાં ઘરે આવશે. ત્યારબાદ રેખાબેન હીરાના કારખાને કામ પર હતા ત્યારે તેની દીકરી તેમની પાસે આવી અને જણાવ્યું કે કરણ ઘરે આવ્યો છે. રેખાબેને દીકરીને ઘરે જવાનું કહી પોતે પણ પાછળથી ઘરે પહોંચ્યા હતા, ઘરે પહોંચતા જ દીકરીએ તેમને જણાવ્યું કે કરણે તેના ડાબા હાથની છેલ્લી આંગળી અને પેટમાં ડૂંટીની ડાબી બાજુ છરી મારી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તે સમયે રેખાબેનના ભાભી સોનલબેન રાજેશભાઈ મકવાણા પણ ત્યાં હાજર હતા, રેખાબેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સર ટી. હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી. ડોકટરોએ સુમનના પેટમાં ઓપરેશન કર્યું હતું અને આંગળી પર ટાંકા લીધા હતા. રેખાબેને જણાવ્યું કે, સગાઈ તૂટવાની અદાવત રાખીને કરણે તેમની દીકરી પર હુમલો કર્યો છે, આ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે રેખાબેન એ કરણ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિજય હઝારે ટ્રોફી 2025-26ના પાંચમા દિવસે રાજકોટમાં રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યાએ બરોડાની ટીમમાંથી રમીને ધમાકેદાર બેટિંગ કરી હતી. નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વિદર્ભ સામેની મેચમાં બરોડાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 293 રન બનાવ્યા હતા, જેમાં હાર્દિક પંડ્યાએ 92 બોલમાં 11 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી 133 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, હાર્દિકની આ શાનદાર ઈનિંગ છતાં પણ વિદર્ભની ટીમે 294 રનનો ટાર્ગેટ ચેઝ કરીને જીત મેળવી હતી. આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 16 મેચ પૂર્ણ થઈ ચુકી આજે રાજકોટમાં ચાર મેચ રમાઈ રહી છે, જેમાં અન્ય મેચોમાં બંગાળે આસામ સામે 302/7, ઉત્તરપ્રદેશે જમ્મુ-કાશ્મીર સામે 322/5 અને હૈદરાબાદે ચંદીગઢ સામે 286/9 રન બનાવ્યા છે. રાજકોટમાં 24 ડિસેમ્બર, 2025થી 8 જાન્યુઆરી, 2026 સુધીમાં 8 ટીમો વચ્ચે કુલ 28 મેચો રમાશે, જેમાંથી આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 16 મેચ પૂર્ણ થઈ ચુકી છે. બરોડાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 293 રન બનાવ્યા વિજય હઝારે ટ્રોફી 2025-26ના પાંચમા દિવસે રાજકોટમાં રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યાએ શાનદાર સદી ફટકારીને બરોડાને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી હતી. નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વિદર્ભ સામેની મેચમાં બરોડાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 293 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 92 બોલમાં 11 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી 133 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આજે રાજકોટમાં ચાર મેચ રમાઈ રહી છે. નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બરોડા-વિદર્ભ અને ઉત્તરપ્રદેશ-જમ્મુ કાશ્મીર વચ્ચેની મેચ રમાઈ રહી છે, જ્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પેવેલિયન, સણોસરા ખાતે બંગાળ-આસામ અને ચંદીગઢ-હૈદરાબાદ વચ્ચેની મેચ યોજાઈ રહી છે. ટુર્નામેન્ટમાં 8 ટીમો વચ્ચે કુલ 28 મેચ રમાશેબંગાળ-આસામ મેચમાં આસામે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો, જેમાં બંગાળે 50 ઓવરમાં 7 વિકેટે 302 રન બનાવ્યા હતા. ઉત્તરપ્રદેશ-જમ્મુ કાશ્મીર મેચમાં જમ્મુ કાશ્મીરે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કર્યું હતું, જેમાં ઉત્તરપ્રદેશે 48 ઓવરમાં 5 વિકેટે 322 રન બનાવ્યા હતા. ચંદીગઢ-હૈદરાબાદ મેચમાં ચંદીગઢે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કર્યું હતું, જેમાં હૈદરાબાદે 50 ઓવરમાં 9 વિકેટે 286 રન બનાવ્યા હતા. વિજય હઝારે ટ્રોફી 2025-26ની આ વન-ડે ટુર્નામેન્ટ 24 ડિસેમ્બર 2025થી 8 જાન્યુઆરી, 2026 સુધી રાજકોટમાં યોજાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં 8 ટીમો વચ્ચે કુલ 28 મેચ રમાશે, જેમાંથી અત્યાર સુધી 16 મેચ પૂર્ણ થઈ ચુકી છે. આજે રમાયેલી મેચોમાં ખેલાડીઓના શાનદાર પ્રદર્શનથી મેચો રોમાંચક બની રહી છે.
રાજ્યમાં માર્ગ અકસ્માતોથી થતા મૃત્યુ અને ઇજાઓમાં ઘટાડો લાવવા તથા જનસામાન્યમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વિકસાવવા માટે ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ 31 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ–2026ની ઉજવણી કરવામાં આવશે. આ મહિના દરમ્યાન વડોદરા જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા માર્ગ સલામતી સાથે સંકળાયેલા તમામ વિભાગો – પોલીસ વિભાગ, આર.ટી.ઓ., માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, 108 ઇમરજન્સી સેવા, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા ખાનગી ક્ષેત્રના સહયોગથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. માર્ગ સલામતી માસ અંતર્ગત જિલ્લામાં જનજાગૃતિ માટે રેલી, વોકાથોન/મેરેથોન, શાળા તથા કોલેજ કક્ષાએ સેમિનાર, ચિત્ર, નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાઓ, સ્ટ્રીટ પ્લે તેમજ સોશિયલ મીડિયા અને સમૂહ માધ્યમો મારફતે વ્યાપક પ્રચાર–પ્રસાર હાથ ધરવામાં આવશે. હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગ, મોબાઈલ ફોનના દુરુપયોગથી બચાવ, ઓવર સ્પીડિંગ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ તથા અયોગ્ય પાર્કિંગ સામે કડક અમલવારી કરવામાં આવશે. જિલ્લામાં આવેલા બ્લેક સ્પોટ અને જોખમી માર્ગ સ્થળોએ રોડ માર્કિંગ, સાઈનેજ, ક્રેશ બેરિયર અને રાહદારીઓની સલામતી માટે જરૂરી એન્જિનિયરિંગ સુધારણા કરવામાં આવશે. ઉપરાંત આરોગ્ય વિભાગ તથા 108 એમ્બ્યુલન્સ સેવાના સહયોગથી પ્રાથમિક સારવાર અને સી. પી. આર. તાલીમ, મેડિકલ ચેકઅપ તેમજ રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીમાં આજે પરીક્ષા દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. યુનિવર્સિટીના ઇમર્જિંગ સાયન્સ વિભાગમાં લેવાયેલી એમએસસી એપ્લાઇડ મેથેમેટિક્સની પરીક્ષામાં વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે સવારે 11 વાગ્યે એમએસસી એપ્લાઇડ મેથેમેટિક્સના વિદ્યાર્થીઓનું ‘કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન એન્ડ આર્કિટેક્ચર’ વિષયનું પેપર યોજાયું હતું. વિષય બહારના સવાલો પૂછતા વિદ્યાર્થીઓ મૂંઝાયાપ્રશ્નપત્રમાં વિષયની બહારના સવાલો પૂછવામાં આવ્યા હતા જેને કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. વિદ્યાર્થીઓએ તરત જ પરીક્ષા દરમિયાન થયેલી ભૂલ અંગે પરીક્ષા વિભાગનું ધ્યાન દોર્યું હતું. વિદ્યાર્થીઓની રજૂઆત બાદ યુનિવર્સિટી દ્વારા પેપર રી-પ્રિન્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને લગભગ 11:30 વાગ્યા બાદ વિદ્યાર્થીઓને નવું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું. AVBPએ યુનિવર્સિટીના રજીસ્ટ્રારને આવેદનપત્ર આપ્યુંપેપર મોડું મળતા વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારી અને માનસિક સ્થિતિ પર પણ અસર પડી હોવાનું વિદ્યાર્થીઓનું કહેવું છે. આ સમગ્ર ઘટનાને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે આજે બપોરે એબીવીપી દ્વારા યુનિવર્સિટીના રજીસ્ટ્રારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામા આવી હતી.
રાજકોટના બહુમાળી ભવનમાં સ્થિત ખાણ ખનીજ વિભાગની ફલાઈંગ સ્કવોર્ડે છેલ્લા એક મહિનામાં સૌરાષ્ટ્રભરમાં ગેરકાયદે ખનીજ વહન કરતા 61 આસામીઓને ઝડપી પાડ્યા છે અને રૂ.1.21 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાઈવે અને ગામડાના રસ્તા ઉપર ખનીજનું ગેરકાયદે વહન કરતા 56 ડમ્પર, 2 ખનન અને 1 સંગ્રહનો કેસ કરવામાં આવ્યો છે. સ્કવોર્ડ દ્વારા પકડવામાં આવેલ વાહનની કિંમત રૂ.3 કરોડથી વધુની આંકવામાં આવી છે. જોકે ખનીજ ચોરી માટેનું એપી સેન્ટર ફરી એક વખત મોરબી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક તંત્રની આંખમાં ધૂળ નાંખી વહન અને ખનન કરતા ખનીજ માફિયાના નેટવર્કને ભેદી ફ્લાઈંગ સ્કવોર્ડે અસ્તવ્યસ્ત કરી નાખ્યુ છે. જેમાં સાદી રેતી, બ્લેકટ્રીપ, સોફ્ટ મેટલ, બોલ ક્લો, ચાઈના કલે, બિલ્ડીંગ લાઈમ સ્ટોન, હાર્ડ મોરમ, ફાયર કલે, ચાઈના કલે, સિલીકા સહિતની વસ્તુની હેરાફેરી અને સરકારી જમીનમાંથી ગેરકાયદે ખોદાણ કરવામાં આવતુ હોવાની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં છેલ્લા એક મહિના દરમિયાન કરવામાં આવેલી કાર્યવાહીમાં સૌથી વધુ કેસ રાજકોટ જિલ્લામાં કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર આસપાસ અને ગ્રામ્ય વિસ્તારમાં 24 વાહન પકડવામાં આવ્યા છે. જ્યારે મોરબી જિલ્લામાં પણ 20 કેસ કરવામાં આવ્યા છે. જોકે સૌથી વધુ ખનીજ કરી મોરબીમા થતી હોવાનું સામે આવ્યુ છે. જિલ્લો - કેસ - રકમ (લાખમાં)મોરબી - 20- 49.09રાજકોટ - 24- 38.07 જામનગર - 05- 10.02 પોરબંદર - 01- 02.05 ભાવનગર - 03- 05.60 સુરેન્દ્રનગર - 08- 15.05 કુલ - 61 - 121.26
જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 માં આવેલા ખલીલપુર રોડ નજીકની સોસાયટીઓના રહીશો નર્કાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. ઓમ નગર વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી રસ્તાઓ ખોદાયેલી હાલતમાં હોવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. વારંવારની રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી ન હલતા, આજે આ વિસ્તારની મહિલાઓએ રણચંડી બનીને રસ્તો બંધ કરી દીધો હતો. વિરોધ એટલો ઉગ્ર હતો કે સ્થિતિ થાળે પાડવા પોલીસ કાફલાને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવવું પડ્યું હતું. એક મહિના પહેલા આપેલું વચન ઠાલું સાબિત થયું સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર, બરાબર એક મહિના અગાઉ પણ તેમણે આ જ રસ્તો રોકીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તે સમયે કોર્પોરેટર અને મનપાના અધિકારીઓએ 'એક મહિનામાં રોડ બનાવી દઈશું' તેવું લેખિત આશ્વાસન આપી રસ્તો ખોલાવ્યો હતો. પરંતુ એક મહિનો વીતી જવા છતાં પરિણામ શૂન્ય રહેતા આજે ફરી મહિલાઓએ રસ્તાની બંને બાજુ પથ્થરો અને આડશ મૂકી અવરજવર ઠપ્પ કરી દીધી હતી. 'અમારે મનપામાં ચા-પાણી નથી પીવા, અમને અમારો રસ્તો આપો' સ્થાનિક રહીશ કુંદનબેન ઠુમરે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે જ્યારે રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે મનપાના અધિકારીઓ કહે છે કે ઓફિસે આવીને ચા-પાણી પી જાઓ. અમારે તમારા ચા-પાણી નથી પીવા, અમને અમારા રસ્તા બનાવી આપો. દિવાળી પહેલા રોડ બનવાની ખાતરી આપી હતી, દિવાળી ગઈ તેને પણ ઘણો સમય થઈ ગયો પણ રોડના ઠેકાણા નથી. જો તમે સુવિધા ન આપી શકતા હોય તો અમારો વોર્ડ બદલાવી નાખો. ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ આવી શકે તેવી સ્થિતિ નથી વોર્ડ નંબર 2 ના રહીશ આશિકાબેન રાઠોડે વ્યથા ઠાલવતા કહ્યું કે, રસ્તા પર મોટા પથ્થરો પડ્યા છે. વાહનો પસાર થાય ત્યારે પથ્થરો ઉડીને રમતા બાળકોને વાગે છે. વૃદ્ધો ચાલી શકતા નથી અને બીમારીના સમયે એમ્બ્યુલન્સ અંદર આવી શકતી નથી. ચૂંટણી સમયે કોર્પોરેટરો બે હાથ જોડીને મત માંગવા આવે છે, પણ અત્યારે જ્યારે જનતા હેરાન થાય છે ત્યારે કોઈ ડોકાતું નથી. જ્યાં સુધી રોડનું કામ શરૂ નહીં થાય ત્યાં સુધી અમે રસ્તો ખોલીશું નહીં. કોર્પોરેટર આવે છે પણ ઝઘડો કરીને ચાલ્યા જાય છે રહીશોનો ગંભીર આક્ષેપ છે કે સ્થાનિક કોર્પોરેટર જ્યારે સોસાયટીની મુલાકાત લે છે, ત્યારે કોઈ ચોક્કસ જવાબ આપવાને કે ઉકેલ લાવવાને બદલે લોકો સાથે ઝઘડો કરીને ચાલ્યા જાય છે. છેલ્લા દોઢ વર્ષથી લોકો ધૂળ, પથ્થરો અને કાદવ વચ્ચે જીવી રહ્યા છે, છતાં મનપા તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. આજે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમજાવટના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ મહિલાઓ આ વખતે કોઈ પણ 'માત્ર આશ્વાસન' સ્વીકારવા તૈયાર નહોતી. મત આપ્યા તેનું આ પરિણામ ? જનતામાં ભારોભાર રોષ સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો છે કે શું એક વર્ષમાં આ વિસ્તારમાં કોઈ બીમાર નહીં પડ્યું હોય? તેમને હોસ્પિટલ જવામાં કેટલી મુશ્કેલી પડી હશે તેની ચિંતા શું કોઈ અધિકારી કે નેતાને નથી? ઓમ નગરના રહીશોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે હવે માત્ર વાતો નહીં પણ વાસ્તવમાં રોડ બનવો જોઈએ. જો આવનારા દિવસોમાં પણ આ સ્થિતિ યથાવત રહેશે તો આ આંદોલન મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી સુધી લઈ જવામાં આવશે.
અમદાવાદ શહેરના ધારાસભ્યો અને સાંસદસભ્યોમાં વિસ્તારના કામોને લઈ નિરસતા જોવા મળી રહી છે. પ્રજાના રોડ પાણી ગટર અને નવા વિકાસ કાર્યો અંગે દર મહિને મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓ સાથે સંકલન બેઠક મળે છે. આજે બે મહિના બાદ AMCની સંકલન બેઠકમાં મોટાભાગના ધારાસભ્યો ગેરહાજર જોવા મળ્યાં છે. વેજલપુરના અમિત ઠાકર, નારણપુરાના જીતુ ભગત, ગાંધીનગર દક્ષિણના અલ્પેશ ઠાકોર, બાપુનગરના દિનેશસિંહ કુશવાહ, નરોડાના ડો. પાયલ કૂકરાણી અને ઠક્કરબાપાનગરના કંચનબેન રાદડિયા બેઠકમાં હાજર છે. વિપક્ષના જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને દાણીલીમડાના શૈલેષ પરમાર ગેરહાજર છે. કમિશનરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સાંસદ દિનેશ મકવાણા એચએસ પટેલ અને નરહરી અમીનમાંથી એક પણ સાંસદ પણ હાજર નથી. ગત સંકલન બેઠક રદ્દ થતા MLA ઇમરાન ખેડાવાલાએ સવાલ ઉઠાવ્યા હતા. સંકલન બેઠકમાં ધારાસભ્યો અને સાંસદો પોતાના વિસ્તારના પ્રજાના કામોને લઈને રજૂઆત કરતા હોય છે. ભાજપના ગેરહાજર રહેલા ધારાસભ્યોડો. હર્ષદ પટેલ - સાબરમતી કૌશિક જૈન- દરીયાપુરબાબુસિંહ જાદવ - વટવા અમિત શાહ - એલિસ બ્રિજ ડો. હસમુખ પટેલ - અમરાઈવાડીદર્શના વાઘેલા - અસારવાઅમુલ ભટ્ટ - મણિનગર કોંગ્રેસના ગેરહાજર રહેલા ધારાસભ્યોઇમરાન ખેડાવાલા- જમાલપુર શૈલેષ પરમાર- દાણીલીમડા ગેરહાજર રહેલા ભાજપના સાંસદઞદિનેશ મકવાણા એચ.એસ પટેલ નરહરી અમીન
ભાવનગર,અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જુનાગઢ તથા ગાંધીનગર ની ટીમો ભાગ લેશે મેચો દિવસ-રાત ફોર્મેટમાં આધુનિક ક્રિકેટ ધોરણો મુજબ રમાશે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આંતર-મહાનગરપાલિકા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, આ ટુર્નામેન્ટ 6 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી દરમિયાન યોજાશે, તેમાં આઠ મહાનગરપાલિકાઓની મેયર-11 અને કમિશનર-11 એમ કુલ 16 ટીમો ભાગ લેશે, આ ટુર્નામેન્ટ ભાવનગર યુનિવર્સિટી અને ભરુચા ક્રિકેટ ક્લબના ગ્રાઉન્ડ ખાતે રમાશે, અંદાજે 250 જેટલા ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેશે, મેચો દિવસ-રાત ફોર્મેટમાં આધુનિક ક્રિકેટ ધોરણો મુજબ રમાશે, આયોજન અને સુવિધાઓ ભાવનગર મહાનગરપાલિકાના આંગણે આઠ મહાનગરપાલિકાઓની મેયર-11 અને કમિશનર-11 એમ કુલ 16 ટીમો ભાગ લેશે, જેમાં ભાવનગર,અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જુનાગઢ તથા ગાંધીનગર ની ટીમો ભાગ લેશે અને વિજેતા ટીમોને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવશે, તેમજ રનર્સ અપ ટ્રોફી શ્રેષ્ઠ બેસમેન શ્રેષ્ઠ બોલર અને મેન ઓફ ધ ટુર્નામેન્ટ પણ આપવામાં આવશે, તેમજ અનુભવી અમ્પાયર્સની નિમણૂક, ખેલાડીઓ માટે મેડિકલ અને ફર્સ્ટ એડ સુવિધાઓ, સુરક્ષાને વ્યવસ્થા માટે સ્ટાફ તથા સ્વચ્છતા અને પીવાના પાણીની સુવિધા સહિતના તૈયારીઓ કરવામાં આવશે, ખર્ચ અને વ્યવસ્થા આ ટુર્નામેન્ટના આયોજન અંગે માહિતી આપતા જણાવાયું છે કે, આ ભવ્ય ઇવેન્ટનો અંદાજિત ખર્ચ રૂપિયા 50 લાખથી વધુ થવાની શક્યતા છે, જેમાં ખેલાડીઓના ટ્રાન્સપોર્ટ, રહેવાની અને જમવાની તમામ સુવિધાઓનો સમાવેશ થાય છે, મહત્વની વાત એ છે કે, આ ખર્ચ માટે કોર્પોરેશનના સ્વ-ભંડોળ કે સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવશે નહીં, પરંતુ એડવર્ટાઇઝમેન્ટ રાઇટ્સ (જાહેરાતો) થકી આ ભંડોળ એકત્ર કરવામાં આવશે, મહાનુભાવોની ઉપસ્થિતિ આ ટુર્નામેન્ટ માટે રાજ્યના મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોને ભાવપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, તેમના કન્ફર્મશન બાદ તેઓ અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે, ભાવનગર યજમાન પદે છે ત્યારે બહારથી આવતા મહેમાનો શહેરની સુંદર છબી લઈને જાય તેવી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે, સૌપ્રથમ વખત ભાવનગર શહેર યજમાન થઈ રહ્યું છે ત્યારે શહેર અને જિલ્લાની સુંદર છબી બહારના મહેમાનો સમક્ષ રજૂ થાય તે માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, મહાનગરપાલિકાએ ભાવનગરના ખેલપ્રેમી નાગરિકોને આ મેચો નિહાળવા અને ટીમોને પ્રોત્સાહિત કરવા આમંત્રણ આપ્યું છે.
સ્વ. નનકુબાપુ જોરુબાપુ વરુનું તા. 29/12/2025 ના રોજ દુઃખદ અવસાન થયું હતું. સ્વ. નનકુબાપુ શ્રી દાદબાપુ વરુના નાના ભાઈશ્રી તથા પાળીયાદ પૂ. શ્રી વિસામણબાપુની જગ્યાના પ્રેરક સંચાલક ભયલુબાપુના તેમજ બાબભાઈ વરુના કાકા હતા સ્વર્ગસ્થ નનકુબાપુના અવસાન નિમિત્તે તા. 02/01/2026 ના રોજ પૂ. શ્રી વિસામણબાપુની જગ્યા – પાળિયાદ મુકામે બેસણું યોજવામાં આવ્યું હતું. સ્વ. નનકુબાપુ સાથેના ઊંડા સામાજિક સંબંધો તથા ભયલુબાપુના વિશાળ લોકસંપર્કને કારણે ગુજરાતભરના વિવિધ વિસ્તારોમાંથી અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ, ધાર્મિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રના વરિષ્ઠ આગેવાનો, ડોક્ટરો, વકિલો, અધિકારીઓ, સાહિત્યકારો, વિહળધામના સેવક સમુદાય તથા વિવિધ જ્ઞાતિઓના વરિષ્ઠો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેસણાં દરમિયાન તમામ ઉપસ્થિતોએ પુષ્પાંજલિ આપી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-ધનસુરા સ્ટેટ હાઈવે પર શનિવારે બપોરે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આકોદરા ગામ નજીક પરફેક્ટ સ્કૂલની બસ અને સેન્ટ્રો કાર વચ્ચે સર્જાયેલી સામસામે ટક્કરમાં કાર ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. કારનો બૂકડો વળી જતાં વૃદ્ધ અદંર ફસાયા હતા. તેમની લાશને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડે 20 મિનિટ સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું હતું. દરમિયાન લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાહનો થંભી જતાં ટ્રાફિક જામ થયો હતો. સેન્ટ્રો કારનો કચ્ચરઘાણ મળતી માહિતી મુજબ, અકસ્માત એટલો જોરદાર હતો કે સેન્ટ્રો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કાર સંપૂર્ણપણે દબાઈ જવાથી ચાલક અંદર જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ હિંમતનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત બાદ અંદાજે 20 મિનિટના રેસ્ક્યૂ ઓપરેશન પછી કારના પતરાં કાપીને મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતકની ઓળખહિંમતનગર ફાયર વિભાગના અધિકારી મયંક પટેલે જણાવ્યું હતું કે, મૃતક ચાલકની ઓળખ હિંમતનગરના બળવંતપુરા ગામના 75 વર્ષીય વિઠ્ઠલભાઈ હરિભાઈ પટેલ તરીકે થઈ છે. પોલીસ કાર્યવાહીઅકસ્માત અંગે જાણ થતા જ હિંમતનગર A-ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે. હાઈવે પર સર્જાયેલા આ અકસ્માતને પગલે થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
સુરત શહેરના આંગણે ફરી એકવાર ઉત્સવનો માહોલ જોવા મળશે. આગામી 9થી 11 જાન્યુઆરીએ સુરત નજીક આવેલા સુંવાલીના દરિયાકિનારે ત્રિ-દિવસીય ‘સુવાલી બીચ ફેસ્ટિવલ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ ફેસ્ટિવલમાં નાગરિકોને દરિયાની લહેરો સાથે સંગીત, સ્વાદ અને સાહસનો સંગમ માણવા મળશે. તૈયારીઓને આતરી ઓપ અપાયો, કલેક્ટરની અધ્યક્ષસ્થાને બેઠકકાર્યક્રમના આયોજન માટે ધારાસભ્ય સંદિપ દેસાઈ અને જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી દ્વારા સમીક્ષા બેઠક યોજી તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સુવાલી બીચ ફેસ્ટિવલ-2026’ના ભવ્ય આયોજનના ભાગરૂપે ધારાસભ્ય સંદિપ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં અને જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ધારાસભ્યએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સુંવાલી બીચને એક પ્રમુખ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે કટિબદ્ધ છે, જેથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઉભી થાય અને સહેલાણીઓ દરિયાકિનારાના કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકે. નાગરિકોને ફેસ્ટિવલ સુધી પહોંચાડવા બસની સુવિધાસુરત શહેરથી સુવાલી બીચ દૂર હોવાથી વિવિધ વિસ્તારોમાંથી પ્રવાસીઓને ફેસ્ટિવલ સ્થળ સુધી પહોંચવા માટે વિશેષ સિટી બસ અને એસ.ટી. બસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. શહેરના 30 સ્થળેથી નાગરિકોને સિટી બસ મળી રહેશે. સાથે જ વહીવટી તંત્ર દ્વારા સલામતી અને વ્યવસ્થાપન પર વિશેષ ભાર મૂકતા જિલ્લા કલેક્ટરે તમામ સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. લોકોની સુરક્ષા પર વિશેષ ધ્યાન અપાશેજિલ્લા કલેક્ટરે સુરક્ષા અંગે સૂચના આપતા જણાવ્યું હતુ કે, દરિયાકિનારે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયર બ્રિગેડ, કુશળ તરવૈયા અને એમ્બ્યુલન્સ સાથેની મેડિકલ ટીમો તૈનાત રહેશે. આ ઉપરાંત, પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન અને વિશાળ પાર્કિંગ એરિયાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી પર્યટકોને કોઈ અગવડ ન પડે. જાણીતા કલાકારો મચાવશે ધૂમફેસ્ટિવલના ત્રણેય દિવસ દરમિયાન સાંજે સુરતની જનતા માટે સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકડાયરાનું આયોજન છે. સ્વાદના શોખીનો માટે 125 સ્ટોલ્સસુરત અને ખાણીપીણી એકબીજાના પર્યાય છે. ફેસ્ટિવલમાં 125 જેટલા ફૂડ સ્ટોલ્સ ઉભા કરવામાં આવશે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની પરંપરાગત વાનગીઓ જેવી કે નાગલીની વાનગીઓ, ડાંગી ડિશ અને શિયાળાનું સ્પેશિયલ ઉંબાડિયુ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત હેન્ડીક્રાફ્ટના શોખીનો માટે ક્રાફ્ટ સ્ટોલ અને સખીમંડળો દ્વારા બનાવાયેલી ચીજવસ્તુઓનું પણ પ્રદર્શન અને વેચાણ થશે. પર્યટન અને રોજગારીનો સંગમધારાસભ્ય સંદિપ દેસાઈએ જણાવ્યું હતું કે, આ ફેસ્ટિવલ પાછળનો મુખ્ય હેતુ સુંવાલી બીચને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો છે. આનાથી માત્ર મનોરંજન જ નહીં, પરંતુ સ્થાનિક લોકો અને વેચાણ સ્ટોલધારકોને રોજગારીની મોટી તક મળશે. સ્થાનિક અર્થતંત્રને વેગ આપવા માટે વહીવટીતંત્ર કટિબદ્ધ છે. આ ફેસ્ટિવલમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, નાયબ પોલીસ કમિશનર શેફાલી બરવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ સતત દેખરેખ રાખી રહ્યા છે. સુંવાલીના ખુશનુમા વાતાવરણમાં પરિવાર અને મિત્રો સાથે વીકેન્ડ ઉજવવા માટે આ એક ઉત્તમ તક છે.
પર્વતોના પિતામહ અને ગરવા ગઢ ગિરનારની પવિત્ર ગોદમાં આવતીકાલે સાહસ, શૌર્ય અને ખેલદિલીનો ત્રિવેણી સંગમ રચાશે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો આવતીકાલે વહેલી સવારે શંખનાદ થશે. આ ઐતિહાસિક સ્પર્ધાને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવશે. સવારે 6:45 કલાકે ભવનાથ તળેટીથી થશે પ્રારંભ આવતીકાલે સવારે જ્યારે ગિરનારની ઠંડી હવામાં સૂર્યનું પહેલું કિરણ રેલાશે, ત્યારે ભવનાથ તળેટીના સાંસ્કૃતિક મંચ પરથી આ મહારણનો પ્રારંભ થશે. મહંત મંગલનાથજીના આશ્રમ પાસે યોજાનારા આ ઉદ્ઘાટન સમારોહમાં જૂનાગઢના મેયર, સ્થાનિક ધારાસભ્યો, કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધારશે. સ્પર્ધા પૂર્ણ થયા બાદ બપોરે 1:00 કલાકે વિજેતાઓને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. કાલે સાવારે 1115 સ્પર્ધકો વચ્ચે ખરાખરીનો જંગ જિલ્લા યુવા વિકાસ અધિકારી એન. ડી. વાળાના જણાવ્યા મુજબ, આ વર્ષે સ્પર્ધામાં ભાગ લેવા માટે સમગ્ર ગુજરાતના 30 જેટલા જિલ્લાઓમાંથી ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કુલ 1377 ફોર્મ મળ્યા હતા, જેમાંથી કડક ચકાસણી બાદ 1115 સ્પર્ધકોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેમાં સિનિયર ભાઈઓ 513, જુનિયર ભાઈઓ 278, સિનિયર બહેનો 124 અને જુનિયર બહેનો 200 વિભાગ વાઈઝ ભાગ લેનાર છે.જાન્યુઆરી મહિનાની હાડ થીજવતી ઠંડીમાં ગિરનારના પથ્થરો પર દોડવું એ કોઈ રમત વાત નથી. આ સ્પર્ધામાં ભાઈઓ માટે અંબાજી મંદિર સુધીના 5,500 પગથિયાં ચઢવાના અને ઉતરવાના રહેશે, જ્યારે બહેનો માટે માળી પરબ સુધીના 2,200 પગથિયાં સર કરી પરત આવવાનું રહેશે. નોંધનીય છે કે ગયા વર્ષે 39મી સ્પર્ધામાં 1,200થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને કઠિન પરિસ્થિતિઓમાં પોતાનો કસબ બતાવ્યો હતો. જૂનાગઢ કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી છે. સ્પર્ધા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગિરનારના રસ્તામાં અલગ-અલગ પોઈન્ટ પર ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ તૈનાત રહેશે. સ્પર્ધકો માટે એનર્જી ડ્રિંક્સ અને શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ભવનાથ તળેટીથી લઈને અંબાજી મંદિર સુધી ચુસ્ત પોલીસ પહેરો અને વોલેન્ટિયર્સ રાખવામાં આવ્યા છે.આ સ્પર્ધા માત્ર એક રમત નથી પણ જૂનાગઢની ઓળખ બની ગઈ છે. આ સ્પર્ધા દ્વારા રાજ્યના યુવાનોમાં સાહસવૃત્તિ જાગે અને શારીરિક ક્ષમતા વધે તેવો મુખ્ય ઉદ્દેશ્ય છે. ગિરનારના આકરા ચઢાણને પાર કરનારા ખેલાડીઓને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં પણ પ્રાધાન્ય મળે છે. ગિરનારની આ ભૌગોલિક સ્થિતિમાં ખેલાડીઓના ફેફસાં અને સ્નાયુઓની ખરી ક્ષમતા ચકાસાય છે.આજે સાંજ થી જ ગુજરાતના ખૂણેખૂણેથી સ્પર્ધકો જૂનાગઢ પહોંચવાનું શરૂ કરી દીધું છે. અનેક ખેલાડીઓ છેલ્લા છ મહિનાથી પોતાના વતનમાં ડુંગરો કે સીડીઓ ચઢીને પ્રેક્ટિસ કરી રહ્યા છે. ગિરનાર સર કરવાની તમન્ના સાથે આવેલા આ યુવાનો આવતીકાલે પરોઢિયે જય ગિરનારીના નાદ સાથે દોટ મુકશે.આ પ્રકારની સ્પર્ધાઓથી ગ્રામીણ અને શહેરી વિસ્તારના ખેલાડીઓને એક સમાન પ્લેટફોર્મ મળે છે. ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા હવે વૈશ્વિક ફલક પર પણ જાણીતી બની છે..
દર વર્ષે યોજાતા આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલની યજમાનીમાંથી આ વર્ષે વડોદરાને બાકાત રાખવામાં આવતાં પતંગ રસિકોમાં ચિંતા વ્યાપી હતી. જેથી સાંસદે ગુજરાતના પ્રવાસન વિભાગને પત્ર લખીને આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો યોજવા માટે વડોદરા પાસે ક્ષમતા છે અને તેનાથી પર્યટન વધશે, તેવો વિશ્વાસ આપ્યો હતી. જેથી આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલની યજમાની મળે તેવી માગ કરી હતી, જેની આજે મૌખિક સરકારમાંથી મંજૂરી મળતા સાંસદે આ અંગેની જાણકારી આપી હતી. કાઇટ ફેસ્ટિલમાં વડોદરાને બાકાત રખાયું હતુંઆ અંગે સાંસદ ડો હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે, ઘણા બધા પતંગ રસિકોના માધ્યમથી મારી પાસે આ રજૂઆત આવી હતી કે, વડોદરાની અંદર વર્ષોથી યોજાતો કાઈટ ફેસ્ટિવલ કે જે સરકાર દ્વારા એમના સહયોગથી આ કાઈટ ફેસ્ટિવલ યોજાતો હોય છે. આ કાઇટ ફેસ્ટિવલની અંદર આ વખતના જેટલા પણ લોકેશન છે એમાં વડોદરાને બાકાત રાખવામાં આવ્યું છે. આ બાબતે મેં વિભાગને જાણ કરી અને એમની સાથે ટેલિફોનિક ચર્ચા કરી અને જે ઉચ્ચ અધિકારીઓ છે તેમના સહયોગથી મેં એમને કહ્યું કે વડોદરા એક એવી સંસ્કારી નગરી છે. સાથે સાથે ઉત્સવોની પણ નગરી છે અને વર્ષોથી ઇન્ટરનેશનલ કાઈટ ફ્લાયર્સ પણ નવલખી મેદાન ખાતે આવી અને પોતે કાઈટ ફ્લાયિંગ કરતા હોય છે. શહેરમાં કાઇટ ફેસ્ટિવલ ઉજવવા સરકારને પત્ર લખ્યોવધુમાં કહ્યું કે, ત્યારે વડોદરાની અંદર આ ઉત્સવ સતત ઉજવાતો રહેવો જોઈએ અને એની અંદર ફરી એકવાર વડોદરાનો ઉમેરો કરવા માટે મેં એમને રિક્વેસ્ટ કરી અને એક ઔપચારિક પત્ર પણ લખ્યો હતો. આપણા વડોદરાના બધા જ ધારાસભ્યો અને સંગઠનની ટીમ છે, તે તમામનું પણ આ બાબતે એક જ સૂચન હતું કે વડોદરાને ફરી એકવાર આ જગ્યા કાઈટ ફેસ્ટિવલ માટેની મંજૂરી મળવી જોઈએ. સાંસદના પત્ર બાદ સરકારે મૌખિક મંજૂરી આપીવધુમાં કહ્યું કે, આ બાબતે રજૂઆત બાદ એક જ દિવસમાં હમણાં જ મને એક મૌખિક સૂચના સરકાર તરફથી આવી છે કે વડોદરાની અંદર કાઈટ ફેસ્ટિવલ યોજાશે. આ માટે સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલનની શરૂઆત પણ થઈ ગઈ છે. એટલે હવે સ્થાનિક વહીવટી તંત્ર કલેક્ટર, કમિશનર સાથે સંકલન કરીને વડોદરાની અંદર પણ કાઈટ ફેસ્ટિવલ માટેની નવી તારીખ જાહેર કરવામાં આવશે અને વડોદરાના તમામ જે પતંગ રસિકો છે એમને આ કાઈટ ફ્લાયિંગ માટેની એક તક મળશે. મને સરકાર પર વિશ્વાસ હતો કે આપણી માગણીને સરકાર અવશ્ય સ્વીકારશે અને તેનો અંત આવ્યો છે.
વડોદરા મહાનગર ભાજપ દ્વારા પ્રદેશની ટીમમાં નિયુક્તિ પામેલા ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિ અને પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પદે નિયુક્ત થયેલા વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીનો સન્માન સમારંભ ગઈકાલે યોજાયો હતો. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિએ કહે છે કે, મારો અનુભવ છે, જે પેપરમાં આવે તે પાર્ટીમાં ના આવે. વધુમાં તેઓ કહે છે કે, કોર્પોરેટરોને 5 વર્ષ આપ્યા છે, હવે પક્ષ જેને ટિકિટ આપે તેને જીતાડવાની તમારી જવાબદારી છે. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અને નવ નિયુક્ત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિએ કાર્યક્રમ દરમિયાન પેપરમાં વારંવાર આવતા કેટલાક ભાજપ નેતાઓ પર પરોક્ષ ઈશારો કરતાં કહ્યું હતું કે, મારો અનુભવ છે, જે પેપરમાં આવે તે પાર્ટીમાં ના આવે. આ નિવેદનથી એવો સંકેત મળે છે કે, જે નેતાઓ વારંવાર મીડિયામાં ચર્ચામાં રહે છે, તેઓ પાર્ટીના વાસ્તવિક કાર્યકરો અથવા આંતરિક ગતિવિધિઓમાં સક્રિય નથી હોતા. આ ટિપ્પણીને ઘણા લોકોએ પાર્ટીના આંતરિક માળખા અને મીડિયા-સેન્ટ્રિક નેતાઓ વચ્ચેના તફાવત તરીકે જોયું છે. આ ઉપરાંત, વડોદરા મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને પણ રસિક પ્રજાપતિએ કાર્યકરોને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોર્પોરેટરોને 5 વર્ષ આપ્યા છે, હવે પક્ષ જેને ટિકિટ આપે તેને જીતાડવાની તમારી જવાબદારી છે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પાર્ટી ટિકિટ વિતરણ પછી એકજૂટતા અને ડિસિપ્લિન પર ભાર મૂકી રહી છે. જે કોર્પોરેટરને ટિકિટ મળશે, તેને જીતાડવું એ તમામ કાર્યકરોની સામૂહિક જવાબદારી રહેશે. ભલે તેમની પસંદગી કોઈની પ્રથમ પસંદગી ન હોય. આ બંને નિવેદનો વાયરલ થયા હતા અને વડોદરા ભાજપના આંતરિક સંગઠન તેમજ આગામી સ્થાનિક ચૂંટણીઓની તૈયારીઓને લઈને ચર્ચાનો વિષય બન્યા છે. રસિક પ્રજાપતિ વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે સક્રિય રહ્યા છે અને પાર્ટીમાં શિસ્ત તેમજ કાર્યકરોની એકતા પર ભાર મૂકી રહ્યા છે.
જામનગરમાં શ્રમિકનું બાઇક ચોરાયું, તસ્કર CCTVમાં કેદ:લીમડા લેનમાંથી ધોળે દહાડે ચોરી, પોલીસ તપાસ શરૂ
જામનગરના લીમડા લેન વિસ્તારમાં ધોળા દિવસે એક શ્રમિક યુવાનનું મોટરસાયકલ ચોરાઈ ગયું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લીમડા લેન વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળામાં કામ કરતા શ્રમિક યુવાને પોતાનું ટુ-વ્હીલર શેરીમાં પાર્ક કર્યું હતું. 1 જાન્યુઆરીના રોજ એક તસ્કરે ત્યાં આવીને વાહનની ચોરી કરી અને ફરાર થઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે તસ્કર નાની ઉંમરનો છે. તેણે માથા પર ટોપી સાથેનું સ્વેટર અથવા જેકેટ પહેર્યું હતું અને તે પગપાળા આવ્યો હતો. તેણે કોઈક રીતે વાહન સ્ટાર્ટ કરીને તેના પર બેસીને ભાગી છૂટ્યો હતો. વાહન માલિક શ્રમિક યુવાને આ મામલે પોલીસને જાણ કરી હતી. જામનગર સીટી બી. ડિવિઝન પોલીસની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી છે.
નવસારી ટાઉન પોલીસે જલાલપોર મામલતદાર કચેરીના ID-પાસવર્ડનો દુરુપયોગ કરીને NRI મહિલાનું ગેરકાયદે આધાર કાર્ડ બનાવવામાં આવેલા કૌભાંડમાં એક ઓપરેટરની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર સુપરવાઇઝરની ધરપકડ હજુ બાકી છે. જલાલપોરના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મૃણાલદાન ઘનશ્યામદાન ઈસરાણીએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, કોલાસણા ગામના એક બિન-નિવાસી ભારતીય (NRI) મહિલાએ ખોટા પુરાવા રજૂ કરીને ગેરકાયદેસર રીતે આધાર કાર્ડ મેળવ્યું હતું. આ પ્રક્રિયામાં મામલતદાર કચેરીના 'Service Plus Portal'ના યુઝર આઈ.ડી. અને પાસવર્ડનો દુરુપયોગ થયો હતો. કોલાસણા ગામના NRI મહિલા પ્રતીક્ષાબેન સંજયભાઈ પટેલ યુએસમાં રહે છે. તેમને આધાર કાર્ડની જરૂર હતી, પરંતુ આધાર કાર્ડ બનાવવા માટે છેલ્લા એક વર્ષમાં ટુકડે-ટુકડે કે સળંગ 182 દિવસ ભારતમાં રહેવું ફરજિયાત છે. પ્રતીક્ષાબેન માત્ર 25 દિવસ ભારતમાં રહ્યા હતા. આથી તેમણે મરોલી બજારમાં રહેતા શહેઝાદ શબ્બીર શેખનો સંપર્ક કર્યો હતો. શહેઝાદે તેના સુપરવાઇઝર હરીશ રાજ્યગુરુ સાથે મળીને મહિલાનું આધાર કાર્ડ ગેરકાયદેસર રીતે એપ્રુવલ કર્યું હતું. આ કામ માટે આરોપીઓએ 7000 રૂપિયાની લાંચ પણ લીધી હતી. પોલીસે આ કૌભાંડમાં આધાર કાર્ડમાં ઓપરેટર તરીકે કામ કરતા શહેઝાદ શબ્બીર શેખની ધરપકડ કરી છે અને તેને સોમવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. જોકે, આધાર કાર્ડને એપ્રુવલ આપનાર મુખ્ય સૂત્રધાર સુપરવાઇઝર હરીશ રાજ્યગુરુની ધરપકડ હજુ બાકી છે. આ સમગ્ર મામલો તા. 18/08/2025 ના રોજ કોલાસણા ગામના એક જાગૃત નાગરિક તરફથી મામલતદાર કચેરીને મળેલી અરજી બાદ પ્રકાશમાં આવ્યો હતો. અરજીમાં જણાવાયું હતું કે, વિદેશમાં રહેતા નાગરિક પ્રતિક્ષાબેન સંજયભાઈ પટેલ જરૂરી નિવાસ અવધિ પૂર્ણ કર્યા વિના આધાર કાર્ડ મેળવવામાં સફળ રહ્યા હતા. તપાસમાં થયો મોટો ખુલાસોમામલતદાર કચેરીના સર્કલ ઓફિસર ચદ્રેશસિંહ રાઠોડ દ્વારા તપાસ કરવામાં આવી. કોલાસણાના તત્કાલિન તલાટી-કમ-મંત્રી, સરપંચ અને અરજદારના સગા મયંકભાઈ મિસ્ત્રીના નિવેદનો લેવાયા હતા. તપાસમાં એવું તારણ નીકળ્યું કે પ્રતિક્ષાબેન માત્ર 25 દિવસ જેટલો જ સમય ભારતમાં રોકાયા હતા અને ત્યારબાદ વિદેશ ચાલ્યા ગયા હતા.પ્રવર્તમાન સરકારી ઠરાવ તા. 03/03/2023 મુજબ, 182 દિવસનું રોકાણ ન હોવાથી પ્રતિક્ષાબેનનું આધાર કાર્ડ બનવાપાત્ર ન હતું. તલાટી-કમ-મંત્રીએ પણ તા. 03/07/2025ના રિપોર્ટમાં જણાવ્યું હતું કે અરજદાર હાલ વિદેશમાં હોવાથી ખરાઈ થઈ શકે તેમ નથી અને 'એનેક્ષર-1 નેગેટિવ ભર્યો હતો.
બનાસકાંઠા LCBએ જુગાર રમતા પાંચ ઝડપ્યા:પાલનપુરમાંથી ₹62,870નો મુદ્દામાલ જપ્ત કરાયો
બનાસકાંઠા LCB પોલીસે પાલનપુર શહેરમાંથી જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન કુલ ₹62,870નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પાલનપુર શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા હુસૈની ચોક, શાહુફલીમાં સિકંદરખાન બિસ્મીલ્લાખાન નાગોરીના રહેણાંક મકાનમાં તીન પત્તીનો જુગાર રમાઈ રહ્યો હતો. LCB ટીમે બાતમીના આધારે દરોડો પાડીને જુગારની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી પાંચ જુગારીઓને પકડ્યા હતા. તેમની પાસેથી રોકડ ₹22,879 અને જુગારના સાહિત્ય (ગંજીપાના) સહિત કુલ ₹62,870નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન ચાર અન્ય ઈસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં બિપીનભાઈ મફતલાલ પ્રજાપતિ (રહે. પાલનપુર, નંદ સોસાયટી), રીઝવાન ઉર્ફ દાદા હમીદખાન નાગોરી (રહે. પાલનપુર, નાગોરી વાસ), ઈમરાન ઈસ્માઈલભાઈ સિંધી (રહે. પાલનપુર, જુના ડાયરા), અબ્બાસભાઈ ઉર્ફ ખલીફા અબ્દુલરહેમાન ખલીફા (રહે. પાલનપુર, ફોફળીયો કુવો) અને અજરુદ્દીન ઉર્ફ બાલી ઈકબાલભાઈ સલાટ (રહે. પાલનપુર, ભક્તોની લીંબડી)નો સમાવેશ થાય છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. LCB પોલીસ ઈન્સ્પેક્ટરના નેતૃત્વ હેઠળ ટીમો બનાવી ગુનાહિત પ્રવૃત્તિઓ પર વોચ રાખવામાં આવી રહી છે. પકડાયેલા અને નાસી છૂટેલા ઈસમો વિરુદ્ધ પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
વડોદરા શહેરમાં ખોટા દસ્તાવેજોના આધારે SBIમાંથી 1.97 કરોડ રૂપિયાથી વધુ હોમ લોન મેળવી ઠગાઇ કરવાના કેસમાં સંડોવાયેલ અને ફરાર થયેલ મહિલા આરોપીની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના પોલીસ સ્ટેશનોના ગુનાઓના કામે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને એડિશનલ પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલની સુચના અનુસાર ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સુચના આપી હતી. ન્યુ અલકાપુરી રોડ પરથી આરોપી મહિલાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપીઆ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એન.જી. જાડેજાની ટીમના PSI બી.વી.ગોહીલ અને પોલીસકર્મીઓ વડોદરા શહેરના તમામ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાના નાસતા ફરતા આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. જેમાં ગોરવા પોલીસ મથકમાં નોંધાયેલ ઠગાઇના ગુનાની મહિલા આરોપી સંપા મિહિરભાઇ ચેટર્જી (રહે. હરીઓમનગર સોસાયટી, બીલ, વડોદરા તથા સ્ટાર રેસીડેન્સી, વાસણા-ભાયલી રોડ, વડોદરા) હાલ ન્યુ અલકાપુરી રોડ આકાશ એપાર્ટમેન્ટ ખાતે હોવાની માહિતી મળતાં ટીમે મહિલા પોલીસને સાથે રાખી ન્યુ અલકાપુરી રોડ આકાશ એપાર્ટમેન્ટ ખાતેથી ઝડપી પાડી ગોરવા પોલીસને સોંપી હતી. 16 લોકોએ મળીને હોમ લોન મેળવવા બોગસ દસ્તાવેજો ઊભા કર્યા હતાઆ પકડાયેલ આરોપી મહિલા સામે 5 ઓગસ્ટ 2025ના રોજ ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયેલી ફરિયાદની વિગત એવી છે કે, 2 ઓગસ્ટ 2021થી 17 ઓકટોમ્બર, 2022ના સમય દરમ્યાન આરોપી મહિલા સંપા મિહિરભાઇ ચેટર્જી તથા અન્ય 5 આરોપીઓએ હોમલોન મેળવવા બોગસ દસ્તાવેજો ઊભા કર્યા હતાં. ખોટી ફાઇલ તૈયાર કરી SBIના બે એસ.એસ.એલ.એજન્ટો સાથે મળીને ઇલોરાપાર્કની એસ.બી.આઇ. બેંક RACPC બ્રાન્ચમાં રજુ કરીને રૂપિયા 1.97 કરોડની લોન લઇ છેતરપિંડી કરી હતી. આ ગુનામાં સંડોવાયેલા 16 આરોપીઓ પૈકી સંપા ચેટર્જીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદરના યુવાનોનો દારૂ-બિયર મહેફિલનો વીડિયો વાયરલ:પોલીસે સ્પષ્ટતા કરી, દીવમાં દારૂ પીધો હતો
પોરબંદરના યુવાનો દારૂ-બિયરની મહેફિલ માણતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આવા વીડિયો સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે. વાયરલ વીડિયોમાં પોરબંદરનો વિજય ડાભી નામનો યુવક દારૂ-બિયરની મહેફિલ માણતો જોવા મળે છે. વીડિયોમાં એક મોટી ટોળકી સાથે એક સ્થળે મહેફિલ ચાલતી હોવાના દૃશ્યો છે, જેને કારણે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જાગી છે. શરૂઆતમાં આ મહેફિલ પોરબંદરમાં યોજાઈ હતી કે અન્ય કોઈ રાજ્ય કે જિલ્લામાં, તે સ્પષ્ટ નહોતું. જોકે, પોરબંદર પોલીસે આ મામલે તપાસ હાથ ધરી આરોપીની ઓળખ કરી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતા મુજબ, વીડિયોમાં દેખાતો યુવક પોરબંદરનો જ હોવાનું પુષ્ટિ થઈ છે. પરંતુ, પોલીસે જણાવ્યું છે કે આ વીડિયો દીવમાં દારૂ પીધો હોવાનો છે. દીવ દારૂબંધી મુક્ત વિસ્તાર હોવાથી ત્યાં દારૂ પીવું કાયદેસર છે. અગાઉ પણ પોરબંદરમાં દેશી દારૂ ખુલ્લેઆમ મળતો હોવાના દૃશ્યો સામે આવ્યા છે. જોકે, આ વીડિયો દીવનો હોવા છતાં, આવા દૃશ્યો સામે આવતા ગુજરાતમાં દારૂબંધીના અમલ પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. પોલીસે આ સમગ્ર મામલે કાનૂની તપાસ પૂર્ણ કરી હોવાનું જણાવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને અઠવાડિયામાં નવા કાયમી રજીસ્ટ્રાર મળી જશે. યુનિવર્સિટીમાં આજે કુલપતિની અધ્યક્ષતામાં નવા કુલસચિવની નિમણૂક માટેના ઇન્ટરવ્યૂ ગોઠવાયા હતા. જેમાં વિવાદિત ડૉ.જાદવની સાથે ડૉ.જાડેજા, ડૉ. ધામેચાએ દોઢ કલાક પરસેવો પાડ્યો હતો. જોકે હવે અઠવાડિયામાં મળનારી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં નવા કુલસચિવના નામની જાહેરાત થશે. જેથી બે વર્ષથી ખાલી કાયમી રજીસ્ટ્રારની જગ્યા ભરાશે. નોંધનીય છે કે યુનિવર્સિટીમાં 10 વર્ષ સુધી કાયમી કુલસચિવની જગ્યા ખાલી રહી હતી. છેલ્લે વર્ષ 2023 માં કાયમી રજીસ્ટ્રાર તરીકે રૂપારેલીઆની નિમણૂક થઈ હતી પરંતુ તેમણે માત્ર ચાર મહિનામાં રાજીનામુ આપી દીધુ હતુ. મળતી વિગતો મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર બનવાની રેસમાં ત્રણ વહીવટી અધિકારીઓ છે. જેમાં આ જ યુનિવર્સિટીના પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર ધામેચા, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટ્રાર જાદવ અને આંબેડકર યુનિવર્સિટીના કાયમી કુલસચિવ જાડેજા છે. જોકે આ ત્રણેયમાંથી જાડેજાનું પલડુ ભારે હોય તેવું લાગી રહ્યુ છે. જેઓ રાજકોટની ખાનગી કોલેજમાં લેક્ચરર રહી ચૂક્યા છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની જેમ જ તેમનો પણ વિષય ફિઝિક્સ છે. આજે કુલસચિવની નિમણૂક માટેના ઇન્ટરવ્યૂમાં કુલપતિ ડૉ. ઉત્પલ જોશી, રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ નિરંજન પટેલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય ડૉ. મહેશ જીવાણી, અનામત કેટેગરીના પ્રતિનિધિ તરીકે અર્થશાસ્ત્ર ભવનના હેડ ડૉ. નવીન શાહ હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વર્ષ 2023 ના ઓગસ્ટ માસમાં 10 વર્ષ બાદ કાયમી કુલસચિવ હરીશ રૂપારેલિઆ મળ્યા હતા. જોકે મહાનગરપાલિકાના સેક્રેટરી તરીકેના તેમના અનુભવી સળંગ ગણવામાં આવતી ન હોવાથી તેમને આર્થિક નુકસાન થતું હતું જેને લીધે માત્ર ચાર મહિનામાં જ તેમને કાયમી કુલસચિવ તરીકે રાજીનામુ આપી દીધું. જેને લીધે ફરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાયમી રજીસ્ટ્રાર વિહોણી બની ગઈ. જે બાદ છેલ્લા 2 વર્ષથી યુનિવર્સિટીના વહીવટનું ગાડું ઇન્ચાર્જના ભરોસે ગબડાવાઇ રહ્યુ છે. જોકે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી રજીસ્ટ્રાર બનવા માટેના ઈન્ટરવ્યુ ગોઠવાયા હતા. જેમાં 3 ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હાલના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર અને પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર મનીષ ધામેચા રેસમાં છે. જેમની વર્ષ 2003 માં યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર તરીકે નિયુક્તિ થઈ હતી. જે બાદ વર્ષ 2007 માં પ્લાનિંગ એન્ડ ઓફિસર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. જેમના સમયગાળામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને RUSHA અને PM USHA સહિતની રૂ.500 કરોડ જેટલી ગ્રાન્ટ મળી છે. જ્યારે આ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર બનવા માટેના પ્રબળ દાવેદાર અમદાવાદની બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કાયમી કુલસચિવ અજયસિંહ જાડેજા હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. જેઓ અગાઉ રાજકોટની ક્રાઇસ્ટ કોલેજમાં ફિઝિક્સના લેક્ચરર હતા. જે બાદ જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હતા. જે બાદ હાલ તેઓ આંબેડકર યુનિવર્સિટીમાં રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે. આ સિવાયના અન્ય ઉમેદવાર દશરથ જાદવ છે. જેઓ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે. જેમની વર્ષ 2017 18 માં રજીસ્ટ્રાર તરીકે નિયુક્તિ થઈ હતી. જોકે તેમની સામે ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો થતા સરકાર દ્વારા તપાસ કમિટી બનાવવામાં આવી હતી. જે પછી તેમની પાસેથી રજીસ્ટ્રાર તરીકેનું પદ છીનવાઈ ગયુ અને બાદમાં તેમને ફરી ડેપ્યુટી રજીસ્ટ્રાર બનાવવામાં આવ્યા. જેથી તેઓ આ રેસમાં પાછળ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. પસંદગી પામનાર ઉમેદવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 13 મા કાયમી રજીસ્ટ્રાર બનશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપનાથી અત્યાર સુધીના કાયમી રજીસ્ટ્રારકાયમી કુલસચિવ - ફરજનો સમયગાળોજે. એમ. મેહતા - 06/09/1966 થી 12/11/1968સ્વ.વી. એમ. દેસાઇ - 23/11/1968 થી 31/08/1986 બી. એફ. શાહ - 01/09/1986 થી 31/12/1986 આર. એ. દેસાઇ - 01/01/1987 થી 30/11/1989 જે. એમ. ઉદાણી - 01/12/1989 થી 30/06/1994 આર. ડી. આરદેશણા - 29/04/1995 થી 31/03/1996એસ. બી. પંડ્યા - 27/07/1996 થી 28/02/1997સ્વ.એલ.જે.પંડ્યા - 05/03/1997 થી 22/03/1998વી. એચ. જોશી - 14/12/2000 થી 31/10/2002એ. પી. રાણા - 24/06/2004 થી 27/07/2005જી. એમ. જાની - 03/05/2007 થી 21/06/2011હરીશ રૂપારેલિઆ - જુલાઈ,2023 થી નવેમ્બર,2023
અમદાવાદના DCB પોલીસ મથકે ત્રણ આરોપીઓ દરિયાપુરમાં રહેતા જાવેદ ખાન બલોચ, લાલ દરવાજા ખાતે રહેતા વસીમ મોહમ્મદ શેખ અને સરખેજ ખાતે રહેતી શબાનાબાનું સામે વર્ષ 2023 માં NDPS એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ ખાતે આવેલી NDPS ની વિશેષ અદાલતમાં ચાલી જતા કોર્ટે આરોપીઓને સજા અને દંડનું એલાન કર્યું છે. ત્રણેય પાસેથી અંદાજિત 7 લાખની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતુંSOG એ બાતમીના આધારે ડ્રગ્સનું છૂટક વેચાણ કરતા ઉપરોક્ત આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં અગાઉ પણ આવા જ પ્રકારના કેસમાં ઝડપાયેલા જાવેદ ખાન બલોચ પાસેથી 5.16 લાખની કિંમતનું 51.640 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. વસીમ શેખ પાસેથી 01 લાખની કિંમતનું 10 ગ્રામ ડ્રગ અને સબાના બાનુ પાસેથી 80 હજારની કિંમતનું 08 ગ્રામ ડ્રગ્સ એમ કુલ 6.96 લાખનું ડ્રગ્સ ઝડપાયું હતું. એક આરોપીને 10 વર્ષ, અન્ય બેને 5-5 વર્ષની કેદજજ વી.બી. રાજપૂતે સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો, સાહેદો અને પુરાવાઓ ધ્યાને લઈને આરોપીઓ પૈકી જાવેદ ખાન બલોચને 10 વર્ષની સખત કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યારે વસીમ શેખ અને શબાના બાનુને 5 વર્ષની સખત કેસ અને એક- એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવેલ છે.
વેનેઝુએલા પર હુમલા બાદ અમેરિકાએ માદુરો અને તેમની પત્નીને કેદ કર્યા, ટ્રમ્પની જાહેરાત
Trump Says President Maduro and Wife Captured : 2026ની શરૂઆતમાં જ લેટિન અમેરિકાના ઈતિહાસનો સૌથી મોટો સૈન્ય અને રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. અમેરિકાની સેનાએ એક બાદ એક વેનેઝુએલાના ચાર મોટા શહેરો પર હુમલા કર્યા. ગણતરીની કલાકોમાં વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્નીને કેદ કરી દેશ બહાર લઈ ગયા. નિકોલસ માદુરો અને તેમની પત્નીને કેદ કરાયા: ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે, કે અમેરિકાએ વેનેઝુએલા પર મોટા પાયે હુમલા કર્યા છે.
આજે પોષી શાકંભરી પૂનમના દિવસે કુળદેવી શ્રી મહાકાળી માતાજીનો સાલગિરી મહોત્સવ ઉજવાયો. આ મહોત્સવ મહિધરપુરા જદાખાડી ખાતે આવેલા મહાકાળી માતાજી મંદિરે યોજાયો હતો. મંદિરમાં વહેલી સવારથી જ કેસર સ્નાનથી લઈને આરતી સુધીની તમામ વિધિવિધાન પૂર્વક પૂજા કરવામાં આવી હતી. વિવિધ સમાજના સભ્યો અને સ્થાનિક લોકો વહેલી સવારથી માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. સાંજે કતારગામ SMC કોમ્યુનિટી હોલ ખાતે કંસારા શુભેચ્છક મંડળ દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપ્રસાદીનો લાભ દરેક જ્ઞાતિજનો લેશે.
પોરબંદરની શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આયોજિત ટ્રાએથલોન સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો છે. ગોવાની 'આયર્નમેન' જેવી હાફ આયર્નમેન જેવી સ્પર્ધા છે. વહેલી સવારે કડકડતી ઠંડી વચ્ચે દેશભરના 100થી વધુ સાહસિકોએ સમુદ્રમાં તરણ કરી આ પડકારજનક સ્પર્ધામાં ભાગ લીધો હતો. પોરબંદરના ધારાસભ્ય અને વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ લીલી ઝંડી બતાવી સ્પર્ધાને પ્રસ્થાન કરાવ્યું હતું. આજે પહેલા દિવસની રમતની પૂર્ણાહૂતિ રાતના સમયે પૂર્ણ થશે. 'વજ્ર પુરુષ'ના બિરુદ માટે જંગઆ ટ્રાએથલોન સ્પર્ધામાં સ્વિમિંગ, સાઈકલિંગ અને રનિંગ એમ ત્રણેય વિદ્યાશાખાઓનો સમાવેશ થાય છે. સ્પર્ધાના વિજેતાને 'વજ્ર પુરુષ'નું ગૌરવશાળી બિરુદ એનાયત કરવામાં આવશે. ગોવા ખાતે યોજાતી પ્રખ્યાત 'આયર્નમેન' સ્પર્ધાની તર્જ પર અહીં 'હાફ આયર્નમેન' સ્પર્ધા વિવિધ વય જૂથોમાં યોજવામાં આવી છે. વયના સીમાડા ઓળંગી સ્પર્ધકોનો ઉત્સાહઆ સ્પર્ધામાં આકર્ષણનું કેન્દ્ર સૌથી નાની અને મોટી ઉંમરના સ્પર્ધકો રહ્યા છે. અમદાવાદનો માત્ર 10 વર્ષ અને 6 માસનો અરિહંત અરુણ નાયર સૌથી યુવા સ્પર્ધક છે, જ્યારે જયપુરના 72 વર્ષીય રામદેવ સૌથી મોટી વયના સ્પર્ધક તરીકે ભાગ લઈ યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. સ્પર્ધાના નિર્ધારિત રૂટ આ સ્પર્ધા માટે શહેરના વિવિધ માર્ગો પર રૂટ નક્કી કરવામાં આવ્યો છે. 20 કિ.મી. સ્પ્રિન્ટ ટ્રાએથલોન: લોર્ડઝ હોટેલ (ચોપાટી)થી શરૂ થઈ કલેક્ટર બંગલો રોડ, પેરેડાઈઝ ફુવારા, વીર ભાનુની ખાંભી, બિરલા ઇન્દિરાનગર, રાજવી પાર્ટી પ્લોટ થઈ ઓડદર ગૌશાળાથી પરત એ જ રૂટ પર લોર્ડઝ હોટેલ ખાતે પૂર્ણ થશે. 40 કિ.મી. સ્ટાન્ડર્ડ ટ્રાએથલોન: લોર્ડઝ હોટેલથી શરૂ થઈ ઓડદર, દાદીમાના દેશી ભાણા હોટેલ અને નેશનલ હાઈવે પર ગોસાબારા ચેકપોસ્ટ સુધી જઈ પરત એ જ માર્ગે લોર્ડઝ હોટેલ ખાતે સમાપ્ત થશે. સ્પર્ધામાં 750 મીટર સ્વિમિંગ, 20 કિ.મી. સાઈકલિંગ અને 21 કિ.મી. રનિંગનો સમાવેશ થાય છે, જેનો વ્યાપ સમુદ્રથી લઈ શહેરના મુખ્ય માર્ગો સુધી ફેલાયેલો છે. આવતીકાલે નેશનલ સ્વિમિંગ કોમ્પિટિશનટ્રાએથલોન બાદ આવતીકાલે નેશનલ સ્વિમિંગ કોમ્પિટિશનનું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભારતના 16 જેટલા રાજ્યોમાંથી 1500થી વધુ સ્પર્ધકો પોતાની કુશળતા બતાવવા માટે પોરબંદરના આંગણે ઉમટી પડ્યા છે.
ગાંધીનગરમાં પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રાજ્યના તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) તથા નિયામકોની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગ્રામીણ સ્તરે અમલમાં રહેલી વિવિધ વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. પંચાયત, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં. જિલ્લા આયોજન ગ્રાન્ટમાંથી 125 ટકા આયોજન કરવાની સૂચનાબેઠક દરમિયાન પંચાયત મંત્રીએ ગ્રામ પંચાયતોના વિકાસ પ્રકલ્પોમાં ગતિશીલતા અને પારદર્શિતા લાવવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું. તેમણે જિલ્લા આયોજન ગ્રાન્ટમાંથી 125 ટકા આયોજન કરવાની સ્પષ્ટ સૂચના આપી હતી, જેથી કોઈ પ્રકલ્પ રદ થાય તો વિકલ્પરૂપે અન્ય વિકાસ કામો તાત્કાલિક શરૂ કરી શકાય. આ સાથે જિલ્લાના સરકારી મકાનો પર સ્માર્ટ મીટર તથા સોલર રૂફટોપ સ્થાપિત કરવાની પ્રાથમિકતા આપવા પણ તેમણે ભાર મૂક્યો. ‘ઈ-સરકાર’ એપ્લિકેશનના ફરજિયાત અમલીકરણ માટે આદેશગ્રામીણ વિસ્તારોમાં રોડ, પાણી પુરવઠા અને ગટર યોજનાઓની સમીક્ષા કરતા મંત્રીએ ટુકડાકીય ગટર વ્યવસ્થાની બદલે સંકલિત ગટર વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. વહીવટી પ્રક્રિયાઓને વધુ અસરકારક અને પારદર્શી બનાવવા માટે ‘ઈ-સરકાર’ એપ્લિકેશનના ફરજિયાત અમલીકરણ તથા પડતર ફાઈલોના ત્વરિત નિકાલ માટે સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા. જન્મ-મરણની ઓનલાઈન નોંધણીની ટેકનિકલ ખામીઓ દૂર કરવા ચર્ચામંત્રીએ સીડીપી-5 યોજના અંતર્ગત બાકી રહેલા ગ્રામ પંચાયત ભવનો અને રાજીવ ગાંધી ભવનની દરખાસ્તો વહેલી તકે પૂર્ણ કરવા સૂચના આપી. સાથે જ, જનતાને પડતી મુશ્કેલીઓ ધ્યાનમાં રાખી જન્મ-મરણની ઓનલાઈન નોંધણીમાં આવતી ટેકનિકલ ખામીઓ તાત્કાલિક દૂર કરવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ રજૂઆતોની સમીક્ષા કરવામાં આવીબેઠકમાં જૂથ ગ્રામ પંચાયતોના વિભાજન, નવા પંચાયત ઘરનું નિર્માણ, પાણી પુરવઠા યોજનાઓ સહિત ધારાસભ્યો અને પદાધિકારીઓ તરફથી મળેલી વિવિધ રજૂઆતોની સમીક્ષા કરવામાં આવી. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલી ગ્રામ પંચાયતો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિસ્તારોમાં પાયાની સુવિધાઓ વધુ મજબૂત બનાવવા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત, રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ આવાસ યોજનાઓ માટે ગામતળ તથા પ્લોટની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની ખુલ્લી જમીનો પર દબાણ ન થાય અને નાગરિકોને અફોર્ડેબલ હાઉસિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવાની દિશામાં જરૂરી પગલાં લેવા મંત્રીએ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું.
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને ધનુર્માસ પૂનમ અને શનિવાર, 3 જાન્યુઆરી, 2026ના રોજ દક્ષિણી થીમ પર વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ શણગાર પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી કરવામાં આવ્યો હતો. દાદાના સિંહાસન અને ગર્ભગૃહને દક્ષિણ ભારતીય મંદિરોની પરંપરા અનુસાર કલાત્મક રીતે સજાવવામાં આવ્યા હતા. હનુમાનજી દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા ફૂલની ડિઝાઇનના આકર્ષક વાઘા પહેરાવવામાં આવ્યા હતા. તેમને રિયલ ડાયમંડનો મુગટ અને તાજા ગુલાબ તથા શેવંતીના ફૂલોનો અદભૂત શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી, ત્યારબાદ સવારે 7:00 કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીએ શણગાર આરતી કરી હતી. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને દક્ષિણી થીમ અને એમ્બ્રોઇડરી વર્ક ડિઝાઇનવાળા વાઘાનો દિવ્ય શણગાર કરાયો હતો. આ સાથે 251 કિલો ગુંદરપાક, ખજૂરપાક, અડદિયો અને મેથીના લાડુનો મિશ્ર અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ દક્ષિણી શૈલીના દર્શન કરવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. સાંજે 4:30 કલાકે પૂનમ નિમિત્તે દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર ધનુર્માસ (16 ડિસેમ્બર 2025 થી 14 જાન્યુઆરી 2026) દરમિયાન પારિવારિક શાંતિ અને વિશ્વ કલ્યાણ અર્થે શ્રી હરિ મંદિરમાં શ્રી હનુમાન ચાલીસાના પાઠ અને ૐ નમો હનુમતે ભયભંજનાય સુખમ્ કુરુ ફટ્ સ્વાહા પાઠનો જપ યજ્ઞ પ્રારંભ કરાયો છે. આ પાઠ સવારે 7 થી 12 અને સાંજે 3 થી 6:30 કલાક દરમિયાન દરરોજ કરવામાં આવે છે. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દર્શનનો લાભ લીધો હતો.
અરવલ્લી જિલ્લામાં રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા નિર્ધારિત ગુણવત્તાવાળા સી.સી.ટી.વી. કેમેરા લગાવવાની ફરજિયાત વ્યવસ્થાનો ભંગ કરનારાઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. મોડાસા-ધનસુરા હાઈવે પર શીકા ચોકડી પર આવેલી માં ખોડલ માતેશ્વરી હોટલમાં સી.સી.ટી.વી. કેમેરા ન લગાવવા બદલ SOG દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ, દરેક હોટલ અને જાહેર સ્થળે માન્ય અને ગુણવત્તાવાળા સી.સી.ટી.વી. કેમેરા લગાવવા ફરજિયાત છે. તેમ છતાં, માં ખોડલ માતેશ્વરી હોટલના માલિક દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળા સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવ્યા ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ મામલે SOG અરવલ્લી પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી. જાહેરનામાના ભંગ બદલ રાજસ્થાનના હોટલ માલિક કૈલાશભાઈ રતનભાઈ જાટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન હોટલમાં રાજ્ય સરકારના નિયમો અનુસારના કેમેરા ન હોવાનું સ્પષ્ટ થયું હતું. આ ગુના બદલ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ-223 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ગરસિયા (SOG, અરવલ્લી)ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી, જેમાં SOG અને સ્થાનિક પોલીસ ટીમના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર સુરક્ષા અને કાયદા વ્યવસ્થાને લગતા નિયમોનો ભંગ કરનાર સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ દ્વારા માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે યુવાનોના માનસિક સ્વાસ્થ્યના કારણો અને તેના ઉપાયો સંદર્ભે વક્તવ્ય અપાયું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સંજય વકીલે જણાવ્યું હતું કે આજના યુવાનોમાં માનસિક આરોગ્ય સંબંધિત સમસ્યાઓ જોવા મળે છે. તેમણે વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા કારણો ગણાવ્યા, જેમાં સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ, નશાકારક ડ્રગ્સનું સેવન, નિષ્ફળતા, અપેક્ષા મુજબ સિદ્ધિ ન મળવી અને ખરાબ સંગતનો સમાવેશ થાય છે. વધુ પડતા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ પણ હાનિકારક સાબિત થાય છે. આ સમસ્યાઓથી બચવા માટે સારા પુસ્તકોનું વાંચન, મનગમતું લેખન, સારા મિત્રોની સંગત, પરિવાર સાથે મજબૂત સંબંધો, રમતગમત પ્રવૃત્તિઓમાં ભાગ લેવો અને મનગમતી સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવી જરૂરી છે. ડૉ. વકીલે ભારપૂર્વક જણાવ્યું હતું કે તંદુરસ્ત સમાજની રચના કરવા અને 'વિકસિત ભારત: 2047' ના વિઝનને સાકાર કરવા માટે દેશનું યુવાધન શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોવું અનિવાર્ય છે. કાર્યક્રમના અંતે, કોલેજના વિદ્યાર્થીઓએ શપથ લીધા કે તેઓ તેમના માનસિક સ્વાસ્થ્યને જોખમાવે તેવી કોઈ પ્રવૃત્તિમાં ભાગ લેશે નહીં અને સકારાત્મક જીવન જીવશે. આ કાર્યક્રમનું સંચાલન પ્રો. ચેતન મેવાડાએ કર્યું હતું, જ્યારે આભારવિધિ પ્રો. મહેશ સોનારાએ કરી હતી.
અમદાવાદ: નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) ખાતે પપેટ શો અને નાટ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અનુસ્નાતક વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ પ્રદર્શન પહેલાં ભારતીય રંગમંચ કલાકાર અને મેન્ટોર વોલ્ટર પીટરના માર્ગદર્શન હેઠળ ૧૨ દિવસનો વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓએ નાટ્યકલા અને પપેટ મેકિંગ વિશે જ્ઞાન મેળવ્યું હતું. અભ્યાસક્રમના ભાગરૂપે, વિદ્યાર્થીઓએ પોતે બનાવેલા વિવિધ પપેટ્સનો ઉપયોગ કરીને પંચતંત્રની વાર્તાઓ રજૂ કરી હતી. આ વાર્તાઓને આધુનિક સમયના લોકજીવનના પાસાંઓ સાથે જોડીને પ્રસ્તુત કરવામાં આવી હતી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ હિન્દી નાટકોના પ્રારંભ કરનાર ભારતના પ્રતિષ્ઠિત નાટ્ય લેખક ભારતેંદુ હરીશ્ચંદ્રની કૃતિ ‘અંધેર નગરી’નું અભિનય પ્રસ્તુતિ કરી હતી. વિદ્યાર્થીઓએ તબલાના તાલ અને રોચક સંવાદ સાથે નાટક ભજવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન માર્ગદર્શક વોલ્ટર પીટર, ઈન્સ્ટિટ્યૂટના નિયામક ડો. શિરીષ કાશીકર, નાયબ નિયામક ઈલાબેન ગોહિલ, પ્રાધ્યાપકો કૌશલ ઉપાધ્યાય, ડો. ગરિમા ગુણાવત, રીતુ વર્મા, સ્ટાફગણ અને અન્ય વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ઉપસ્થિત સૌએ પ્રદર્શનની સરાહના કરી હતી.
પાટણ તાલુકાના કતપુર ગામે જૂની અદાવતને કારણે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનામાં બંને પક્ષના લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બે મહિના અગાઉ થયેલા એક યુવકના મોતનું મનદુઃખ આ અથડામણનું કારણભૂત હોવાનું સામે આવ્યું છે. પાટણ તાલુકા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ પક્ષે નોંધાવેલી ફરિયાદ મુજબ, ફરિયાદી સાંજે ચેહર માતાના મંદિરેથી પરત ફરી રહ્યા હતા ત્યારે પાંચ આરોપીઓએ તેમને અપમાનજનક શબ્દો કહી ગાળાગાળી કરી હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક શખ્સે ધારીયાના ઊંધા ભાગથી માર મારતા ફરિયાદીની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે અન્યએ ધોકા વડે માર માર્યો હતો. હુમલાખોરોએ જતાં-જતાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે પાંચ શખ્સો વિરુદ્ધ બીએનએસની કલમ 115(2), 117(2), 352, 351(3), 54 અને જીપીએ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો છે. સામા પક્ષે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, ફરિયાદી પોતાના ઘર પાછળના વાડામાં પશુઓને ચારો નાખી રહ્યા હતા. તે સમયે આરોપીઓએ જૂની અદાવત રાખી તેમના ઘર પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં ફરિયાદીને માથાના લમણાના ભાગે અને જમણા પગના થાપાના ભાગે ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ એક શખ્સ લાકડી લઈને મારવા દોડ્યો હતો. આ ફરિયાદના આધારે પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ બીએનએસની કલમ 125, 54 અને જીપીએ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતથી હવામાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ભર શિયાળે કમોસમી માવઠું પડ્યું હતું. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસ દરમિયાન વરસાદી ઝાપટાં નોંધાયા હતાં. જોકે, હવે આ વરસાદી માહોલ બાદ રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નલિયા 7 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. રાજકોટમાં 9.4 નોંધાયું હતું, જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યમાં તાપમાન ઘટતા ઠંડી વધીહવામાન વિભાગે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં વાતાવરણ શુષ્ક રહ્યું છે, પરંતુ તાપમાન ઘટતા ઠંડીનું જોર વધ્યું છે. અમદાવાદની વાત કરીએ તો, આગામી 24 કલાક દરમિયાન આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે. શહેરમાં લઘુત્તમ તાપમાન અંદાજે 15 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે, જેના કારણે શહેરીજનોને ઠંડીનો સ્પષ્ટ અહેસાસ થશે. 9 જાન્યુઆરી સુધી વરસાદની કોઈ સંભાવના નહિહવામાન વિભાગની આગામી 7 દિવસની આગાહી મુજબ, આગામી એક દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ખાસ કોઈ મોટો ફેરફાર નહીં થાય. 4 જાન્યુઆરીથી શરૂ થતા ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે, જેના કારણે ઠંડીનું પ્રમાણ થોડું ઘટશે અને લોકોને રાહત મળશે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા થોડું વધારે હોવા છતાં રાત્રિના સમયે ઠંડી યથાવત્ રહેશે. પવનની દિશામાં ફેરફાર થવાથી તાપમાનમાં આગળ પણ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. મહત્વની વાત એ છે કે હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, આગામી 9 જાન્યુઆરી સુધી સમગ્ર રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી અને વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે.
ભરૂચમાં 'જ્ઞાન ગંગોત્રી' મહોત્સવ યોજાયો:શિક્ષણ અને સ્વાસ્થ્યનો સંગમ, વિદ્યાર્થીઓએ કૃતિઓ રજૂ કરી
ભરૂચના મધ્યસ્થ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ એજ્યુકેશન સોસાયટી સંચાલિત બી.ઈ.એસ. યુનિયન દ્વારા 3 અને 4 તારીખે બે દિવસીય ‘જ્ઞાન ગંગોત્રી’ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં શિક્ષણ અને સ્વાસ્થ્યનો સંગમ જોવા મળ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત ગણિત-વિજ્ઞાન પ્રદર્શન, પુસ્તક મેળો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. રોટરી ક્લબના સહયોગથી ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ પણ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાના 114 વિદ્યાર્થીઓએ તેમની મૌલિક સૂઝબૂઝથી તૈયાર કરેલી અંદાજે 50 કૃતિઓ રજૂ કરી હતી. આ કૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની વૈજ્ઞાનિક પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ દુષ્યંત પટેલ, પૂર્વ આચાર્ય વાસંતી દીવાન, પૂર્વ શિક્ષક સનત રાણા, અગ્રણી અને પૂર્વ વિદ્યાર્થી નરેશ ઠક્કર, માધ્યમિક વિભાગના આચાર્ય વિજયસિંહ સિંધા અને પ્રાથમિક વિભાગના આચાર્ય ધવલ ભટ્ટ સહિત અનેક પૂર્વ શિક્ષકો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવી હતી. શિક્ષણ અને સ્વાસ્થ્યના આ અનોખા સંગમ સમાન ‘જ્ઞાન ગંગોત્રી’ કાર્યક્રમને સમગ્ર વિસ્તારમાંથી સારો પ્રતિસાદ મળ્યો હતો.
મોરબી મહાપાલિકાના અધિકારીઓની ચિંતન શિબિર:શહેરીજનોને વધુ સારી સુવિધાઓ આપવા પર ચર્ચા કરાઇ
મોરબી મહાપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે આજે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના નવલખી રોડ પર આવેલા ત્રિમંદિર ખાતે યોજાયેલી આ શિબિરમાં શહેરીજનોને સરકારની વિવિધ યોજનાઓ દ્વારા શ્રેષ્ઠ સુવિધાઓ કેવી રીતે પૂરી પાડી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ શિબિર મોરબી મહાપાલિકાને એક વર્ષ પૂર્ણ થયાના અવસરે યોજાઈ હતી. મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સ્થાને આ ચિંતન શિબિર યોજાઈ હતી. શિબિરની શરૂઆત એક કલાકના યોગ સેશનથી કરવામાં આવી હતી. ત્યારબાદ મ્યુનિસિપલ ગવર્નન્સના પાંચ જુદા જુદા વિષયો પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં ખાસ કરીને શહેરી વિસ્તારમાંથી ઉદ્ભવતી સમસ્યાઓ અને તેના સમાધાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. મોરબીના લોકોને વધુ સારી સુવિધાઓ આપવા માટે લાંબા ગાળાનું આયોજન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મ્યુનિસિપલ ગવર્નન્સ અને મ્યુનિસિપલ ફાઇનાન્સ જેવા મુદ્દાઓ પર અધિકારીઓ દ્વારા કર્મચારીઓને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ચિંતન શિબિરનો મૂળ ઉદ્દેશ્ય આગામી સમયમાં મોરબી શહેરના લોકોને વધુ સારી અને કાર્યક્ષમ સુવિધાઓ પૂરી પાડવાનો હતો, જેના માટે કમિશનરના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું.
ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. હર્ષદ મહેરાએ તેમનો જન્મદિવસ ગોધરામાં જરૂરિયાતમંદ બાળકો સાથે ઉજવ્યો હતો. તેમણે પરિવાર સાથે કમલેશ ભોઈ દ્વારા સંચાલિત નિઃશુલ્ક શિક્ષણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. કમલેશ ભોઈ છેલ્લા કેટલાક સમયથી ગોધરા અને આસપાસના ગરીબ તથા નિરાધાર બાળકોને શાળા સમય પછી પોતાના ઘરે મફત શિક્ષણ આપી રહ્યા છે. તેમણે આ સેવા માત્ર પાંચ બાળકોથી શરૂ કરી હતી, જે આજે 70 બાળકોને નિઃશુલ્ક શિક્ષણ પૂરું પાડે છે. આ ઉપરાંત, કમલેશ ભોઈ બાળકોને પોતાના ખર્ચે નાસ્તો પણ પૂરો પાડે છે. કમલેશભાઈની આ સેવાને બિરદાવવા અને તેમનો ઉત્સાહ વધારવા માટે, ડૉ. હર્ષદ મહેરાએ તેમના જન્મદિવસ નિમિત્તે 'કમા ફાઉન્ડેશન' સેન્ટરની મુલાકાત લીધી હતી. ડૉ. મહેરાએ બાળકોની વચ્ચે જન્મદિવસની ઉજવણી કરી અને યથા યોગ્ય સહકાર આપી કમલેશભાઈના સેવાકાર્યમાં સહભાગી બન્યા હતા.
ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસે પંચમહાલ જિલ્લામાં ગુનાખોરી અને ગૌવંશની ગેરકાયદે કતલ જેવી પ્રવૃત્તિઓ અટકાવવા સઘન કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, બી-ડિવિઝન પોલીસ અને ગૌરક્ષા સ્ક્વોડ દ્વારા શહેરના સંવેદનશીલ આઉટર વિસ્તારોમાં ડ્રોન કેમેરાની મદદથી સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્વેલન્સમાં ગોધરા શહેરના આઉટર ગણાતા રેલવે લાઇન વિસ્તાર, ભામૈયા ગામનો સીમાડો અને ઓછી માનવ વસ્તી તેમજ વધુ ઝાડી-ઝાખરા ધરાવતા સ્થળોને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા. આ વિસ્તારોમાં ગૌવંશ કતલ જેવી ઘટનાઓ બનવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને ડ્રોન વડે આકાશમાંથી સતત નિરીક્ષણ કરાયું હતું. ડ્રોનની મદદથી એવા દુર્ગમ સ્થળોનું પણ સ્કેનિંગ કરવામાં આવ્યું હતું જ્યાં પોલીસના વાહનો કે જવાનો સીધી રીતે ઝડપથી પહોંચી શકતા નથી. ટેકનોલોજીના આ ઉપયોગથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પંચમહાલ પોલીસ ગુનાખોરી મુક્ત જિલ્લો બનાવવા કટિબદ્ધ છે. આધુનિક ડ્રોન ટેકનોલોજીનો આશરો લેવાનો મુખ્ય હેતુ ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા તત્વોને ઝડપી પાડવા અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાનો છે. ખાસ કરીને પશુઓની તસ્કરી અને ગેરકાયદે કતલખાના ચલાવતા તત્વો હવે પોલીસના રડારમાં આવ્યા છે. બી-ડિવિઝન પોલીસની આ કામગીરીથી સમગ્ર પંથકમાં સુરક્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી સમયમાં પણ આ પ્રકારે ઓચિંતા ડ્રોન સર્વેલન્સ ચાલુ રાખવામાં આવશે જેથી ગુનેગારોમાં પોલીસનો ખોફ કાયમ રહે. આ કામગીરીમાં ગૌરક્ષા સ્ક્વોડના જવાનો અને પોલીસ સ્ટાફ જોડાયો હતો અને શંકાસ્પદ હિલચાલ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી હતી.
લગ્નજીવનના 23 વર્ષ બાદ એક પરિણીતાએ તેના પતિ વિરુદ્ધ દહેજ અને શારીરિક-માનસિક ત્રાસ આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિ પર ૫ લાખ રૂપિયાની માંગણી કરવા, બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપવા અને પત્નીને બદનામ કરવા વોટ્સએપ પર અભદ્ર સ્ટેટસ મૂકવાનો આરોપ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પરિણીતાના લગ્ન વર્ષ 2002 માં સામાજિક રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ શરૂઆતમાં પાટણ અને ત્યારબાદ સુરત ખાતે દંપતી રહેતું હતું. સુરતમાં ધંધા માટે પતિએ પત્નીના પિતા પાસેથી 1 લાખ રૂપિયા લીધા હતા. આ ધંધામાં નુકસાન થતાં પતિએ વધુ પૈસાની માંગણી શરૂ કરી હતી. ત્યારબાદ તેઓ અમદાવાદ રહેવા ગયા ત્યારે પણ પતિએ કરિયાવરમાં કંઈ આપેલ નથી તેમ કહી મેણા-ટોણા મારવાનું ચાલુ રાખ્યું હતું. પતિએ 5 લાખ રૂપિયાની માંગણી કરી પરિણીતાને મારઝૂડ પણ કરી હતી. પતિના અસહ્ય ત્રાસથી કંટાળીને પરિણીતા તેના બે પુત્રો સાથે પિયર કમલીવાડા આવી ગઈ હતી. પિયર આવ્યા બાદ પણ પતિ દ્વારા ફોન પર પત્ની અને તેના ભાઈને ગાળો આપી દાગીના તેમજ પૈસાની માંગણી ચાલુ રાખવામાં આવી હતી. પતિએ પત્નીના ચારિત્ર્ય સામે શંકા કરી બાળકોનો ડીએનએ ટેસ્ટ કરાવવાની અને તેમને ઉપાડી જઈ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આટલું જ નહીં, પતિએ પત્ની અને સાળાને સમાજમાં બદનામ કરવાના ઇરાદે પોતાના મોબાઈલના વોટ્સએપ સ્ટેટસમાં અભદ્ર અને અશ્લીલ શબ્દો લખી બદનક્ષી કરી હતી. આ મામલે પરિણીતાએ બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને દહેજ પ્રતિબંધ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ગાંધીનગર શહેરમાં પાણીજન્ય રોગચાળાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને બાળકોમાં ટાઇફોઇડ અને હાઈ ગ્રેડ ફીવરના કેસોમાં મોટો ઉછાળો જોવા મળતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. મીતાબેન પરીખએ પરિસ્થિતિની ગંભીરતા જણાવતા કહ્યું છે કે, હોસ્પિટલમાં અત્યારે 104 જેટલા બાળકો સારવાર હેઠળ છે અને છેલ્લા ત્રણ દિવસમાં પોઝિટિવ કેસોના દરમાં 50 ટકા જેટલો જંગી વધારો થયો છે. દૂષિત પાણીના વિતરણને કારણે જન આરોગ્ય સામે મોટું જોખમગાંધીનગર શહેરના જુના સેક્ટરોમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણીના વિતરણને કારણે જન આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. સ્માર્ટ સિટી યોજના હેઠળ કરોડોના ખર્ચે નખાયેલી નવી પાઈપલાઈનોમાં વારંવાર પડતા ભંગાણને કારણે પીવાના પાણીમાં ગટરનું ગંદું પાણી ભળતું હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા 40 ટીમો મેદાનમાં ઉતારવામાં આવીતંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 67 શંકાસ્પદ કેસો નોંધાયા હોવાનો ગઈકાલે દાવો કરાયો હતો. જેમાંથી 42 દર્દીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને સેક્ટર-24 તથા 29ના અર્બન હેલ્થ સેન્ટર ખાતે સારવાર આપવામાં આવી રહી છે. જોકે મોડી સાંજ સુધીમાં વધુ કેસો મળી આવે તો નવાઈ નહીં. આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને આશાબહેનો સહિત 80થી વધુ સ્ટાફની 40 ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. આરોગ્ય ટીમો દ્વારા અત્યાર સુધીમાં 38,000થી વધુની વસ્તીને આવરી લેતા 10,000 ઘરોમાં તપાસ કરવામાં આવી છે. 'છેલ્લા ત્રણ દિવસમાં પોઝિટિવ કેસોના દરમાં 50 ટકાનો વધારો'ગાંધીનગર સિવિલ તંત્ર અલગ જ ચિતાર દર્શાવી રહ્યું છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. મીતાબેન પરીખે પરિસ્થિતિની ગંભીરતા જણાવતા કહ્યું છે કે, હોસ્પિટલમાં અત્યારે 104 જેટલા બાળકો સારવાર હેઠળ છે અને છેલ્લા ત્રણ દિવસમાં પોઝિટિવ કેસોના દરમાં 50 ટકા જેટલો જંગી વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં 1થી 16 વર્ષની વયના બાળકો સૌથી વધુ ભોગ બની રહ્યા છે. હાલમાં 104 બાળકો F2 અને E2 વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. દર્દીઓનો ધસારો એટલો વધ્યો છે કે, તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે 'વોર્ડ નંબર 604' નવો શરૂ કરવાની ફરજ પડી છે. બાળકોમાં હાઈ ગ્રેડ ફીવર, પેટમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદડૉ. મીતાબેનના જણાવ્યા અનુસાર, બાળકો હાઈ ગ્રેડ ફીવર, પેટમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદ સાથે આવી રહ્યા છે. જેમને હાલ આઈ.વી. ફ્લુઈડ્સ અને એન્ટિબાયોટિક્સ દ્વારા સ્થિર કરવામાં આવ્યા છે. રેપિડ રિસ્પોન્સ ટીમ (RRT) દ્વારા સેક્ટર-24, 28 અને આદિવાડા જેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારોમાંથી લેવામાં આવેલા પાણીના સેમ્પલની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે વિતરણ કરવામાં આવતું પાણી પીવાલાયક નહોતું. આ અશુદ્ધ પાણીના કારણે જ વિડાલ ટેસ્ટ અને બ્લડ કલ્ચર રિપોર્ટમાં ટાઇફોઇડના બેક્ટેરિયા જોવા મળ્યા છે. નાગરિકોને પાણી ઉકાળીને પીવા અને ખોરાકમાં સાવચેતી રાખવા ખાસ તાકીદઆંકડાકીય માહિતી મુજબ ડિસેમ્બર મહિનામાં કુલ 685 વિડાલ ટેસ્ટમાંથી 130 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. પરંતુ, છેલ્લા માત્ર ત્રણ દિવસમાં કરવામાં આવેલા ટેસ્ટના 50 ટકાથી વધુ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. માત્ર બાળકો જ નહીં, પરંતુ પુખ્ત વયના લોકોમાં પણ રોગચાળો ફેલાયો છે. મેડિસિન વિભાગની ઓ.પી.ડી.માં 50 દર્દીઓ નોંધાયા હતા, જેમાંથી 15 ગંભીર દર્દીઓને વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નાગરિકોને પાણી ઉકાળીને પીવા અને ખોરાકમાં સાવચેતી રાખવા ખાસ તાકીદ કરવામાં આવી છે.
રવિવાર, 4 જાન્યુઆરી, 2026ના રોજ અમદાવાદમાં રાજપૂત વ્યાપાર સંમેલન 2026 અને FMCG પ્રોડક્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, આશ્રમ રોડ ખાતે રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ઇન્ટરનેશનલ દ્વારા યોજાશે. આ સંમેલનમાં ભારતભરના વિવિધ રાજપૂત ઉદ્યોગકારો, બિઝનેસ ડેલીગેશન, યુવા અને મહિલા ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ ઇનોવેશન ઓનર્સ અને વ્યાપાર નિષ્ણાતો ઉપસ્થિત રહેશે. તેઓ રાજપૂત વ્યાપારના વિકાસ અંગે ચર્ચા કરશે અને બિઝનેસ નેટવર્કિંગ કરશે. કાર્યક્રમનો સમય બપોરે 1:15 થી સાંજે 5:15 સુધીનો રહેશે. આયોજક રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ઇન્ટરનેશનલ છે. વધુ માહિતી માટે વિરલ સિંહ રાઓલનો 9898592794 પર સંપર્ક કરી શકાય છે.
અમદાવાદની ફેમિલી કોર્ટ દ્વારા 8 ઓગસ્ટ, 2025ના રોજ હુકમ અંતર્ગત એક યુવાન દંપતીની અરજી નકારી દેવાતા દંપતીએ ગુજરાત હાઇકોર્ટમાં ફેમિલી કોર્ટના હુકમને પડકાર્યો હતો. ફેમિલી કોર્ટે દંપતીને છૂટાછેડાની અરજી નકારતા નોંધ્યું હતું કે, તેઓએ કૂલિંગ પિરિયડ પૂરો કર્યો નથી કે તેને માફ કરવા અરજી પણ કરી નથી. કેસની વિગતો જોતા બંનેના લગ્ન 9 ડિસેમ્બર, 2023ના રોજ થયા હતા. જ્યારે 17 જાન્યુઆરી, 2024થી તેઓ અલગ રહેવા લાગ્યા હતા. આમ લગ્નના માત્ર એક મહિનો અને એક અઠવાડિયા જેટલા સમય બાદ તેઓ અલગ રહેવા લાગ્યા હતા. પતિ ઉચ્ચ અભ્યાસ માટે UK ગયો હતો, તેને ત્યાં જ સેટલ થવું છે. જ્યારે પત્નીએ અમદાવાદમાં સેટલ થઈને કેરિયર બનાવવું છે. કુલિંગ પિરિયડ પૂરો ન થતા ફેમિલી કોર્ટે અરજી નકારી હતીઆમ દંપતીને જોડે રહેવાનું શક્ય ન લાગતા અલગ અલગ રહેવાનું નક્કી કર્યું હતું. તેઓએ કોઈપણ જાતના દબાણ વગર અમદાવાદની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરી છે. પત્ની પણ પતિએ ઓફર કરેલ કાયમી ભરણપોષણની રકમ મેળવવા માટે તૈયાર છે અને ભવિષ્યમાં કોઈ દાવો કરશે નહીં. તેઓએ 1 એપ્રિલ 2025 ના રોજ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. જેનો કુલિંગ પિરિયડ 1 ઓક્ટોબરના રોજ સમાપ્ત થતો હતો. પરંતુ ફેમિલી કોર્ટે 8 ઓગસ્ટ અરજી રદ કરી નાખી હતી અને નોંધ્યું હતું કે કુલિંગ પિરિયડ રદ કરવાની કોઈ અરજી અરજદારો તરફથી મળી નથી. હાઈકોર્ટે ફેમિલી કોર્ટમાં ફરી અરજી કરવા આદેશ કર્યોગુજરાત હાઇકોર્ટે નોંધ્યું હતું કે દંપતીને લાગી રહ્યું છે કે તેમનું હવે સાથે રહેવું શક્ય નથી. તેઓ એક વર્ષથી અલગ અલગ રહે છે. તેઓએ સહમતિથી છૂટા લેવા તૈયાર છે. 06 મહિના જેટલો સમય તેઓ બંને આપી ચૂક્યા છે. બંને અત્યારે યુવાન છે અને કારકિર્દી ઉપર ફોકસ કરી રહ્યા છે.ત્યારે બે અઠવાડિયાની અંદર તેઓ ફરી ફેમિલી કોર્ટ સમક્ષ અરજી કરે અને ફેમિલી કોર્ટ કાયદા અનુસાર 06 મહિનાની અંદર તેમની અરજી ઉપર નિર્ણય આપે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો વિવાદ હવે વધુ વકર્યો છે. ગત 28 ડિસેમ્બરના રોજ બ્લડ ચઢાવવા જેવી નજીવી બાબતે ન્યૂરોસર્જન ડોક્ટર અને દર્દીના પરિચિત વચ્ચે થયેલી બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ ઘટનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ બાદ હવે સારવાર હેઠળ રહેલા નેપાળી યુવક વિનય થાપાનું મોત નીપજતા સમગ્ર મામલો ગરમાયો છે. નેપાળી સમાજે મેદાને આવીને ડોક્ટરોની બેદરકારી તેમજ હડતાલને કારણે યુવકનું મોત થયું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. જોકે સિવિલ તંત્રએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. શું છે સમગ્ર મામલો?સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આમિર સમાજના એક યુવકને લોહીની તાતી જરૂરિયાત હોવાથી સોશિયલ મીડિયામાં મેસેજ વહેતો કરવામાં આવ્યો હતો. આ મેસેજ વાંચીને જયદીપ ચાવડા નામનો યુવક રક્તદાન કરવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. વોર્ડમાં દાખલ નેપાળી યુવક વિનય થાપાને બ્લડ ચઢાવવા માટે ડોક્ટર પાસે ચિઠ્ઠી લખાવવા બાબતે રકઝક થઈ હતી. આરોપી જયદીપ ચાવડાના જણાવ્યા અનુસાર, નેપાળી પરિવાર ડોક્ટર પાસે આજીજી કરી રહ્યો હતો, પરંતુ ન્યૂરોસર્જન ડૉ. પાર્થ પંડ્યા ચિઠ્ઠી લખી આપવા તૈયાર નહોતા. જ્યારે જયદીપે દરમિયાનગીરી કરી ત્યારે ડોક્ટરે તેની સાથે ગાળાગાળી કરી પેન વડે હુમલો કર્યો હતો, જેના વળતા પ્રહારમાં તેણે ડોક્ટરને લાફા ઝીંકી દીધા હતા. આ ઘટનાના CCTV ફૂટેજ વાઇરલ થતા તબીબોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને તેઓ હડતાલ પર ઉતરી ગયા હતા. નેપાળી સમાજના ગંભીર આક્ષેપોયુવક વિનય થાપાના મોત બાદ નેપાળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સમાજના ઉપપ્રમુખ સંજયરાજ કારકીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં તબીબોની બેદરકારીને કારણે જ વિનયનું મોત થયું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, જ્યારે લોહીની જરૂર હતી, ત્યારે ડોક્ટરોએ સહકાર આપવાને બદલે વિવાદ કર્યો અને ત્યારબાદ હડતાલ પર ઉતરી જતાં વિનયને પૂરતી સારવાર મળી નથી. રાત્રિના સમયે યોગ્ય દેખરેખના અભાવે યુવકે જીવ ગુમાવ્યો હોવાનું પરિવારનું કહેવું છે. સમાજની માગ છે કે, આ સમગ્ર મામલે તટસ્થ તપાસ થવી જોઈએ અને જવાબદાર ડોક્ટરો સામે પોલીસ કાર્યવાહી થવી જોઈએ. સિવિલ હોસ્પિટલ તંત્રનો બચાવબીજીતરફ આક્ષેપો બાદ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ RMO ડો. એમ. એસ. રોયે હોસ્પિટલનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દર્દીની સારવારમાં કોઈ પણ પ્રકારની કમી રાખવામાં આવી નહોતી. તબીબોની હડતાલ હોવા છતાં ઇમરજન્સી સેવાઓ ચાલુ હતી અને વિનય થાપાની સારવાર જે રીતે ચાલતી હતી તે પ્રોટોકોલ મુજબ સતત ચાલુ રાખવામાં આવી હતી. સિવિલ તંત્રએ બેદરકારીના આરોપોને ફગાવતા સ્પષ્ટ કર્યું છે કે, યુવકનું મોત તેની ગંભીર બીમારીને કારણે થયું છે. જોકે, સમગ્ર મામલાની ગંભીરતાને જોતા સિવિલ અધિક્ષક દ્વારા એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, જે મૃત્યુના ચોક્કસ કારણો અને સારવારની પ્રક્રિયાની તપાસ કરશે. પોલીસ કાર્યવાહી અને તપાસનો દોરપ્રદ્યુમનનગર પોલીસ દ્વારા આરોપી જયદીપ ચાવડાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સમક્ષની કબૂલાતમાં આરોપીએ જણાવ્યું છે કે, તેણે આવેશમાં આવીને હુમલો કર્યો હતો. કારણ કે ત્યાંના ડોક્ટર દર્દીના પરિવાર સાથે અમાનવીય વર્તન કરી રહ્યા હતા. અત્યારે પોલીસ CCTV ફૂટેજ અને બંને પક્ષોના નિવેદનોના આધારે આગળની કાર્યવાહી કરી રહી છે. હવે જોવાનું એ રહે છે કે, સિવિલ હોસ્પિટલની તપાસ સમિતિના રિપોર્ટમાં શું તથ્યો બહાર આવે છે. શું ખરેખર હડતાલને કારણે સારવારમાં વિલંબ થયો હતો કે કેમ? તે તપાસનો મુખ્ય વિષય છે. હાલ તો આ ઘટનાએ સિવિલ હોસ્પિટલની વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી શ્રી ગણેશ વિદ્યાલયમાં નવા વર્ષ 2026ના પ્રથમ દિવસે એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. નર્સરીથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને તેમના વાલીઓ દ્વારા સંસ્કારસભર અને મૂલ્યઆધારિત શિક્ષણ આપવામાં આવ્યું. શાળાના આચાર્યા નિતમબેને શિક્ષકો સાથે ચર્ચા કરીને આ નવીન પ્રયોગનો વિચાર રજૂ કર્યો હતો. તેમનો હેતુ નવા વર્ષના પ્રથમ દિવસે વાલીઓ શાળામાં આવીને બાળકોને અભ્યાસ કરાવે તેવો હતો. શાળાના તમામ કર્મચારીઓએ આ પ્રસ્તાવને સ્વીકાર્યો અને વાલીઓના સહયોગ તથા મેનેજિંગ ટ્રસ્ટી અલ્કેશ પટેલના માર્ગદર્શન હેઠળ 'વાલી શિક્ષક દિવસ' સફળતાપૂર્વક સંપન્ન થયો. આ કાર્યક્રમમાં વાલીઓ અને શિક્ષકોની સંયુક્ત મહેનતથી બાળકોએ શિક્ષણકાર્યમાં આનંદ અનુભવ્યો. કુલ 76 વાલીઓએ વર્ગખંડમાં શિક્ષણ આપ્યું હતું. આ અનુભવ દરમિયાન વાલીઓએ શિક્ષકોને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. 'વાલી શિક્ષક દિવસ'નું આયોજન વાલીઓ બાળકોમાં શિસ્ત, સંસ્કાર, સમયપાલન, સ્વચ્છતા અને સકારાત્મક વિચારધારા જેવા ગુણો વિકસાવી શકે તે હેતુથી કરાયું હતું. આ ઉપરાંત, શાળાના શિક્ષકો સાથે સંકલન સાધીને બાળકોના અભ્યાસ ઉપરાંત તેમના નૈતિક, સામાજિક અને માનસિક વિકાસ પર પણ વિશેષ ધ્યાન આપી શકાય તેવો આશય હતો.
પેથાપુરના સ્વપ્નવિલા -3 સ્થિત શ્રી પાર્શ્વનાથ દિગંબર જૈન ચૈત્યાલય ખાતે નવા વર્ષ નિમિત્તે ભક્તામર સ્તોત્ર વિધાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ ગુરુવારે, 1 જાન્યુઆરી, 2026 ના રોજ યોજાયો હતો. ભક્તામર સ્તોત્ર જૈન ધર્મનો એક મહત્વપૂર્ણ સ્તોત્ર છે, જેમાં પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથની સ્તુતિ કરવામાં આવે છે. આ સ્તોત્ર મનની શાંતિ, સકારાત્મકતા અને આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરનારું મનાય છે. તે નકારાત્મક ઊર્જા અને દુષ્ટ શક્તિઓથી રક્ષણ આપે છે તેવી માન્યતા છે. પેથાપુર દિગંબર જૈન સમાજ દ્વારા આયોજિત આ વિધાનમાં ભક્તામર સ્તોત્રની 48 કડીઓ અનુસાર 48 દીપક ભગવાન સમક્ષ ભક્તો દ્વારા પ્રગટાવવામાં આવ્યા હતા. આ વિધિ દ્વારા ભક્તોએ નવા વર્ષની શરૂઆત પ્રભુ ભક્તિથી કરી હતી. આ ભક્તામર વિધાનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને ભક્તિમય વાતાવરણમાં નવા વર્ષનો પ્રારંભ કર્યો હતો.
દાઠા કન્યા શાળાનો સ્થાપના દિવસ ભવ્ય કાર્યક્રમ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળીને કેક કાપી હતી અને વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરીને દિવસને યાદગાર બનાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શૈલેષભાઈ બારૈયા અને સંજયભાઈ ડોડિયાએ જહેમત ઉઠાવી હતી. શાળાના આચાર્ય યોગેશભાઈ દવેએ શાળાની અત્યાર સુધીની સિદ્ધિઓ વિશે માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે જયપાલસિંહ સરવૈયા અને મુકેશભાઈ પંડ્યાએ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના શણગારમાં શિલ્પાબેન જાની અને હર્ષાબેન પરમાર સક્રિય રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌને મીઠાઈ વહેંચીને મોં મીઠા કરાવવામાં આવ્યા હતા.
પ્રકૃતિ અને પરમેશ્વરના સમન્વય સમાન ગરવા ગિરનારની 5000 પગથિયાંવાળી ગગનચુંબી ટોચ પર આજે આસ્થાનું ઘોડાપૂર ઉમટ્યું હતું. શાસ્ત્રોક્ત મતે પોષી પૂનમ એટલે જગતજનની માં અંબાનો પ્રાગટ્ય દિવસ. આ પાવન અવસરે ગિરનાર સ્થિત પ્રાચીન નિજ મંદિરમાં માં અંબાના જન્મોત્સવની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ હજારો માઈભક્તો ગિરનારના કઠિન ચઢાણ ચઢી માતાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. પવિત્ર અભિષેક અને શ્રીસૂક્તના પાઠ મહોત્સવના પ્રારંભે માતાજીની મૂર્તિને ગંગાજળ અને દૂધથી પવિત્ર અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિશ્વ કલ્યાણના અર્થે શ્રીસૂક્તના પાઠ અને હોમ-હવનનું ભવ્ય આયોજન કરાયું હતું. માં અંબાને સોળ શૃંગાર સજી અત્યંત અલૌકિક અને મનોહર રૂપમાં દર્શન કરાવવામાં આવ્યા હતા. શુભ મુહૂર્તમાં મંદિરના શિખર પર નૂતન ધજા ચડાવવામાં આવી હતી. બપોરે મહાઆરતી અને થાળ બાદ પધારેલા તમામ ભાવિકો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. 52 શક્તિપીઠોમાં 'ઉદયનપીઠ' આસ્થા નું કેન્દ્ર પુરાણો અનુસાર, જ્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી માતા સતીના દેહના ટુકડા કર્યા, ત્યારે દેવીના ઉદર (પેટ)નો ભાગ ગિરનાર પર પડ્યો હતો. આથી આ સ્થાનક 52 શક્તિપીઠોમાં 'ઉદયનપીઠ' તરીકે ઓળખાય છે. હિમાલયના પૂર્વજ ગણાતા પ્રાચીન ગિરનાર પર્વત પર આ શક્તિપીઠ અત્યંત જાગૃત મનાય છે. દક્ષ પ્રજાપતિના યજ્ઞકુંડમાં સતીના દેહત્યાગ બાદ નિર્મિત આ પવિત્ર સ્થાનકની મુલાકાત લેવા દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. વહીવટી તંત્રની દેખરેખ હેઠળ આયોજન મંદિરના પૂજારી યોગેશગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, પરંપરા મુજબ સાધુ-સંતો અને મહંતોની હાજરીમાં આ ઉત્સવ ઉજવાય છે. જોકે, આ વખતે મંદિરના બંને પૂજ્ય મહંતશ્રીઓ બ્રહ્મલીન થયા હોવાથી, સમગ્ર મહોત્સવનું સંચાલન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. કલેક્ટર, પ્રાંત અધિકારી અને મામલતદારના માર્ગદર્શન હેઠળ પૂજારીઓ અને સ્ટાફ દ્વારા ભક્તો માટે ચુસ્ત બંદોબસ્ત અને સુવિધા ઉભી કરવામાં આવી હતી. બ્રહ્મલીન તનસુખગીરી બાપુની પરંપરાને જાળવી રાખી નાના પીર હેમાંશુગીરી બાપુના સાનિધ્યમાં પૂજા-અર્ચના કરાઈ હતી. ગિરનાર પર્વત પર શ્રદ્ધાળુઓમાં પણ ભારે ઉત્સાહ આ પાવન દિવસે મહારાષ્ટ્રના કોલ્હાપુરથી આવેલા સંભાજી ટીપુકળે જણાવ્યું કે, અમે પરિવાર સાથે માં અંબા અને ભગવાન દત્તાત્રેયના દર્શને આવ્યા છીએ. ભવનાથ ક્ષેત્રની ધર્મશાળાઓ અને પ્રશાસનની વ્યવસ્થા કાબિલે તારીફ છે. ગિરનારનું વાતાવરણ અત્યંત આહલાદક છે અને અહીં આવીને આત્મિક શાંતિનો અનુભવ થાય છે.પોષી પૂનમે ગરવા ગિરનાર 'જય અંબે'ના નાદથી ગુંજી ઉઠ્યો હતો અને માઈભક્તોએ ધન્યતા અનુભવી હતી.
પરિયા શાળામાં કઠપૂતળી શો દ્વારા શિક્ષણ અપાયું:ગ્રામ પંચાયતે વિસરાતી કલાને જીવંત કરવા આયોજન કર્યું
પરિયા પ્રાથમિક શાળામાં પરિયા ગ્રામ પંચાયતના સૌજન્યથી કઠપૂતળીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો હતો. આ કાર્યક્રમ દ્વારા વિસરાતી જતી કઠપૂતળી કલાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સરપંચ અનિરુધ્ધસિંહ ગોહિલ અને તલાટી કમ મંત્રી કેતનભાઈ જાસોલિયાએ આ પહેલ કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થી ચેહુલભાઈએ આ કાર્યક્રમ અંગે સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. શાળા પરિવારે આ આયોજન બદલ ગ્રામ પંચાયતનો આભાર વ્યક્ત કર્યો હતો.
દ્વારકામાં નાતાલના વેકેશન દરમિયાન 21 ડિસેમ્બર 2025થી 1 જાન્યુઆરી 2026 સુધીના 12 દિવસમાં દસ લાખથી વધુ ભાવિકોએ દ્વારકાધીશ જગતમંદિરમાં દર્શન કર્યા હતા. આ સમયગાળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. હજારો પ્રવાસીઓ ઉમટ્યાદ્વારકાધીશ મંદિર ઉપરાંત, ભાવિકોએ દર્શન સર્કિટના અન્ય તીર્થસ્થાનોની પણ મુલાકાત લીધી હતી. જેમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ, બેટ દ્વારકાધીશ મંદિર, ગોપી તળાવ, રૂકિમણી મંદિર અને હર્ષદ (ગાંધવી) મંદિરનો સમાવેશ થાય છે. આ સાથે શિવરાજપુર બીચ, મોમાઈ બીચ, ભડકેશ્વર ચોપાટી, ગોરીજા બીચ અને હરસિદ્ધિ વન જેવા પર્યટન સ્થળોએ પણ હજારો પ્રવાસીઓ ઉમટ્યા હતા. કડકડતી ઠંડીમાં ગોમતી નદીમાં સ્નાનશિયાળાની કડકડતી ઠંડી હોવા છતાં, હજારો ભક્તોએ ગોમતી નદીમાં સ્નાન કર્યું હતું. પૂર્ણિમાના દિવસે વહેલી સવારથી જ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. આ દિવસે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ગોમતી સ્નાનનો લાભ લીધો હતો.
PM મોદી 11 જાન્યુઆરીથી ગુજરાત પ્રવાસે:સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવવાની પ્રબળ સંભાવના, તૈયારીઓ શરૂ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 જાન્યુઆરીથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટ અને રોડ શો સહિતના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ સાથે જ, પ્રધાનમંત્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે પણ આવી શકે તેવી પ્રબળ સંભાવના છે. પ્રધાનમંત્રીના સંભવિત સોમનાથ આગમનને પગલે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સક્રિય બન્યા છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને કાર્યક્રમ સંબંધિત આયોજન માટે બેઠકોનો દોર શરૂ થયો છે. આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ઈ.સ. 1026માં મહંમદ ગઝનવીએ સોમનાથ પર ચડાઈ કરી હતી. ઈ.સ. 2026માં આ ઐતિહાસિક ઘટનાને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઐતિહાસિક સંદર્ભને ધ્યાનમાં રાખીને સોમનાથ ખાતે એક વિશેષ અને મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજવાની શક્યતા છે. આ કાર્યક્રમ અંતર્ગત 1000 અશ્વોને સોમનાથ ખાતે એકત્ર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યભરમાંથી પોલીસ માઉન્ટેડ દળના અશ્વોને સોમનાથ લાવવામાં આવી શકે છે. આ ઉપરાંત, એક વિશાળ જાહેર સભા યોજવાની પણ ચર્ચા ચાલી રહી છે, જેના માટે સદભાવના ગ્રાઉન્ડ ખાતે તંત્ર દ્વારા પ્રાથમિક નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે. હાલ સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે, અને મંદિર આસપાસની જમીન સંપાદન પ્રક્રિયા પણ પૂરજોશમાં ચાલી રહી છે. આથી, પ્રધાનમંત્રીની સંભવિત મુલાકાત દરમિયાન કોરિડોર પ્રોજેક્ટ અંગે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય અથવા વિકાસ સંબંધિત નવા દિશાનિર્દેશો જાહેર કરવામાં આવે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. પ્રધાનમંત્રીના સંભવિત કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સોમનાથ મંદિર પરિસર, માર્ગો, હેલિપેડ, જાહેર સ્થળો અને સભાસ્થળે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ, વહીવટી અધિકારીઓ અને અન્ય સંબંધિત વિભાગો દ્વારા સ્થળ નિરીક્ષણ અને કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલ પ્રધાનમંત્રીના સોમનાથ કાર્યક્રમ અંગે સત્તાવાર જાહેરાત બાકી છે, પરંતુ તંત્રની તૈયારીઓ પરથી એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કાર્યક્રમ યોજાવાની સ્પષ્ટ સંભાવના દેખાઈ રહી છે.
મહીસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા એક ઈસમને મહીસાગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી કુલ 42,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા અન્વયે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની હેરાફેરી અને વેચાણ કરતા ઈસમો પર વોચ રાખી કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. આ સૂચનાના આધારે SOG PI વી.ડી. ધોરડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એમ. બારીયા, એચ.બી. સીસોદીયા તથા SOG સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, SOG PI વી.ડી. ધોરડાને માનવ સ્રોત દ્વારા બાતમી મળી હતી કે, કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહારાજ ઢાબા નજીક રોડ ઉપર ચોરીછૂપીથી ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે SOG સ્ટાફના માણસોએ દરોડો પાડી મહેન્દ્ર ભીખાભાઈ (રહે. મીઠાપુર, તા. શહેરા, જિ. પંચમહાલ) નામના ઈસમને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા મહેન્દ્ર પાસેથી અલગ અલગ થેલામાં રાખેલી 36 નંગ ચાઈનીઝ દોરીની ફીરકીઓ, જેની કિંમત 27,000 છે, તથા બે એન્ડ્રોઈડ મોબાઈલ, જેની કિંમત 15,000 છે, એમ કુલ 42,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ તેની વિરુદ્ધ કોઠંબા પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 223 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
જામનગર નજીક વિભાપર ગામમાં એક યુવાન 200 ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાં અકસ્માતે પડી ગયો હતો. 24 વર્ષીય ઋષિ નામના આ યુવાનને અઢી કલાકની જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટના વાડી વિસ્તારમાં બની હતી. કૂવામાં પાણી ભરેલું હોવા છતાં અને એક પાઇપલાઇન હોવાને કારણે ઋષિ પાઇપ પકડીને પાણીમાં તરતો રહ્યો હતો. તેણે મદદ માટે બૂમો પાડી હતી. વાડી અલગ સ્થળે આવેલી હોવાથી શરૂઆતમાં કોઈનું ધ્યાન ગયું ન હતું. જોકે, સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં બાજુની વાડીમાં ખેતીવાડી સંભાળતા દીપકભાઈ દોમડીયાને ઋષિનો અવાજ સંભળાયો હતો. તેમણે કૂવામાં જઈને જોતા ઋષિએ પોતાનું નામ જણાવી મદદની વિનંતી કરી હતી. દીપકભાઈએ તાત્કાલિક આસપાસના લોકોને બોલાવ્યા હતા અને ફાયર બ્રિગેડ તેમજ 108ની ટીમને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ અને સ્થાનિકોએ દોરડાની મદદથી યુવાનને કૂવામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. 108ની ટીમે ઋષિની તબીબી તપાસ કરી હતી. તે સ્વસ્થ જણાતા તેને પરિવાર સાથે ઘરે જવા દેવામાં આવ્યો હતો. આ સફળ બચાવ કામગીરી બાદ સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
અમદાવાદના સરસપુરમાં જોગણી માતાના મંદિરમાં ચોરીના આરોપસર બે શખ્સોએ ભેગા મળીને 18 વર્ષના યુવક પર આડેધડ છરીઓના ઘા માર્યા છે. આરોપીઓ યુવકની નજીક જ રહેતા હતા. આરોપીએ છરી અને દંડા વડે યુવકને મારમારી હત્યાનો પ્રયાસ કર્યો હતો.આ અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. જોગણી માતાના મંદિરમાં ચોરી કર્યાની આશંકાએ હુમલો કર્યોસરસપુર વિસ્તારમાં આવેલા તુલસીદાસ સ્લમ ક્વોર્ટસમાં રહેતા સર્વેશ ગૌરે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં કમલેશ ઉર્ફે કમલી અને મહેન્દ્ર ઉર્ફે પિયુ (બન્ને રહે, તુલસીદાસ સ્લમ ક્વોટર્સ) વિરૂદ્ધ હત્યાની કોશિષની ફરિયાદ કરી છે. સર્વેશ સિક્યોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે જ્યારે તેમની પત્નિ બીમાર છે. સર્વેશના દીકરા પ્રેમ ઉર્ફે જાનુને ખેંચની બીમારી છે. પ્રેમ શાકભાજી વેચવાનું કામ કરતો હતો પરંતુ હાલ તે બેકાર છે. ગઈકાલે સર્વેશ ડ્યુટી પુરી કરીને પોતાના ઘરે આવ્યો હતો. સીમા અને પ્રેમ ઘરે હાજર હતા.ગઈકાલે બપોરે સર્વેશ સુઈ રહ્યા હતા ત્યારે તેના નાના ીકરાએ તેમને ઉઠાડીને કહ્યુ હતુંકે પ્રેમને મછાની મસ્જીદની બાજુમાં કેટલાક લોકો મારમારી રહ્યા છે. સર્વેશ તરતજ મછાની મસ્જીદ પાસે પહોચી ગયા હતા જ્યા પ્રેમ ઉપર કમલેશ અને મહેન્દ્ર દંડા તેમજ છરી વડે હુમલો કરી રહ્યા હતા. સર્વેશે તરતજ પોતાના દીકરાને છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો અને બન્નેને કહેવા લાગ્યો હતોકે મારા દીકરાને કેમ મારો છો. સર્વેશની વાત સાંભળીને મહેન્દ્ર અને કમલેશ કહેવા લાગ્યા હતાકે તમારો દીકરો ચોરી કરે છે તેણે જોગણી માતાના મંદિરમાંથી ચોરી કરી છે, આજે તેને જીવતો નથી છોડવાનો. આસપાસના લોકો દોડી આવતા મહેન્દ્ર અને કમલેશ ત્યાથી નાસી ગયા હતા. બે લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયોસર્વેશે તરતજ તેના દીકરા પાસે પહોચી ગયો હતો જ્યા તેના શરીરમાં સંખ્યાબંધ ઈજાના નિશાન હતા. કમલેશ અને મહેન્દ્રએ સરવેશને શરીર પર છરીના ઘા ઝીંકી દીધા હતા.પ્રેમને તરતજ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા તેની હાલત નાજુક છે. શહેરકોટડા પોલીસે આ મામલે મહેન્દ્ર અને કમલેશ વિરૂદ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
સુરત શહેરમાં અપરાધીઓનો ખોફ જાણે ઓગળી ગયો હોય તેમ લાગી રહ્યું છે. લિંબાયત અને સચિન વિસ્તાર બાદ હવે ભેસ્તાનના ઉન વિસ્તારમાં હત્યાની સનસનીખેજ ઘટના બની છે. એટલે કે સુરતમાં 3 દિવસમાં 3 હત્યાના બનાવ બન્યા છે. ત્યારે આજે ભેસ્તાનના ઉન નવાબ રેસિડેન્સી પાસે રહેતા બે ભાઈ પર અસામાજિક તત્વોએ ચપ્પુ વડે હિંસક હુમલો કર્યો હતો. જેમાં એકનું મોત થયું છે. મૃતકના બનેવી કહ્યું, અમને બિહાર મોકલી દો, અમારે અહીં નથી રહેવું. ક્યાંક ગુટકાના પૈસા તો ક્યાંક જૂની અદાવતે જીવ લીધો, સુરતમાં બે યુવાનની હત્યાસુરત શહેરમાં નવા વર્ષની ઉજવણી અને 31stની રાત્રિ લોહિયાળ સાબિત થઈ. સચિન વિસ્તારમાં ગુટકાના પૈસા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં યુવાનની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી, જ્યારે લિંબાયતમાં જૂની અદાવતનો ખાર રાખી 6થી 8 જેટલા શખસે 24 વર્ષીય યુવકની છાતીમાં ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. જ્યારે આજે 3 જાન્યુઆરીના ભેસ્તાનના ઉન વિસ્તારમાં યુવકની હત્યા કરાઈ છે. બનાવ-1 : ભેસ્તાનમાં બે યુવક પર હુમલો ને એકનું મોતઆજે 3 જાન્યુઆરીએ સુરતના ભેસ્તાન વિસ્તારના ઉન નવાબ રેસિડેન્સી પાસે રહેતા 22 વર્ષીય મોહમ્મદ ઝફર હુસેન અને તેના મોટાભાઈ પર અસામાજિક તત્વોએ ચપ્પુ વડે હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં ઝફરનું મોત નીપજ્યું છે, જ્યારે તેનો મોટો ભાઈ સિવિલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. માત્ર બે મહિના પહેલા જ બિહારથી રોજગારીની આશાએ સુરત આવેલા એક પરિવાર પર આભ તૂટી પડ્યું છે. 'અહીં લઘુશંકા કેમ કરો છો?' કહેતા યુવકને પતાવી દીધોમળતી વિગત અનુસાર, મૃતક ઝફર ઉધના બીઆરસી વિસ્તારમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં ઓપરેટર તરીકે કામ કરતો હતો. તેના ઘર પાસે કેટલાક અસામાજિક તત્વો જાહેરમાં લઘુશંકા કરી રહ્યા હતાં. ઝફરે માત્ર એટલી જ ટકોર કરી હતી કે, 'અમે અહીં રહીએ છીએ અને જમીએ છીએ, તો અહીં લઘુશંકા કેમ કરો છો?' આ નાની એવી શિખામણ અસામાજિક તત્વોને એટલી હદે વસમી લાગી કે તેઓએ ઉશ્કેરાઈ જઈને બંને ભાઈઓ પર જીવલેણ હુમલો કરી દીધો. મૃતકને માત્ર એક મહિનાનું નાનું બાળકમૃતક ઝફરના લગ્ન થોડા સમય પહેલા જ થયા હતા અને તેને માત્ર એક મહિનાનું જ નાનું બાળક છે. પિતાની છત્રછાયા ગુમાવનાર આ માસૂમ અને વિધવા પત્નીની હાલત જોઈ પથ્થર દિલના માણસની આંખમાં પણ આંસુ આવી જાય. બનાવ-2 :લિંબાયત મર્ડર ચપ્પુનો જીવલેણ ઘા મારી પતાવી દીધો31મી ડિસેમ્બરે લિંબાયતની આશાપુરી સોસાયટી પાસે રાત્રે 11.30 વાગ્યે હૃદયદ્રાવક ઘટના બની હતી. 24 વર્ષીય જયેશ રમેશભાઇ પટેલ (રહે. ડીંડોલી) તેના મિત્ર નિલેશ સાથે માં ભવાની કરિયાણા સ્ટોર પાસે ઉભો હતો. ડિંડોલી બાલાજીનગર રોયલ સ્ટાર રેસિડેન્સીમાં રહેતો 24 વર્ષીય જયેશ રમેશ પટેલ આશાપુરી દ્વારકેશનગર સોસાયટી પાસેથી પસાર થઈ હતો. એ સમયે 6થી 8 જેટલા અજાણ્યા ઈસમોએ તેને ઘેરી લીધો હતો.ત્યારે જ વિશાલ ગોરખ વાઘ અને તેની ગેંગ ત્યાં ત્રાટકી હતી. યુવકને ચપ્પુના ઘા મારીને પતાવી દીધો હતો. આ પણ વાંચો: 31 ડિસેમ્બરના બે યુવકોની હત્યામાં બે સગીર સહિત આઠ ઝડપાયા 5 વર્ષ જૂની અદાવતમાં જયેશની હત્યા કરીપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ હત્યા પાછળ 5 વર્ષ જૂની અદાવત જવાબદાર છે. આરોપી વિશાલ વાઘને એવી શંકા હતી કે જયેશે વર્ષ 2020માં તેના મિત્રનું મર્ડર કર્યું હતું અને વિશાલની માતા સાથે પણ મારપીટ કરી હતી. આ વેરની અગ્નિમાં સળગતા વિશાલે પોતાના સાગરીતો સાથે મળીને જયેશ પર હુમલો કર્યો હતો. આરોપી ઓમ ગીરાસેએ જયેશની છાતીના જમણી બાજુએ ચપ્પુનો જીવલેણ ઘા મારી દીધો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. લિંબાયત મર્ડરમાં પોલીસે સગીર સહિત 6 શખ્સને ઝડપ્યા લિંબાયત પોલીસે વિશાલ ઉર્ફે ક્રિષ્ણા ગોરખ વાઘ (ઉ.વ. 32), જેની સામે અગાઉ ખૂન, પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટ જેવા 14થી વધુ ગુના નોંધાયેલા છે. ઓમ ભાઉસાહેબ ગીરાસે (ઉ.વ. 19) જેણે મુખ્ય ઘા માર્યો હતો, યશ ઉર્ફે ઈશુ વ્યાસ (ઉ.વ. 19), વેદાંત અનિલ નિકમ (ઉ.વ. 20), ભગવાન ઉર્ફે રાહુલ સુથાર (ઉ.વ. 19), એક સગીરને ઝડપી પાડયા છે. બનાવ-3 :સચિન વિસ્તારમાં પૈસાના વિવાદમાં હત્યા સાહિલે સૂરજ પર ચપ્પુ વડે આડેધડ હુમલો કરી દીધોબીજી ઘટના સચિન વિસ્તારના જુના સ્લમ બોર્ડમાં હનુમાનજીના મંદિર પાછળ બની હતી. અહીં સૂરજ ઉર્ફે દાદુ મુકેશભાઈ સુરવાડે નામના યુવાનની પાન-મસાલાના પૈસા જેવી નજીવી બાબતે હત્યા કરી દેવામાં આવી હતી. ગોડાદરા સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતો 24 વર્ષીય સૂરજ મુકેશ સુરવાડે 31મી ડિસેમ્બરની રાત્રે સચિન સ્લમ બોર્ડ પાછળ આવેલા હનુમાનજી મંદિર પાસે હાજર હતો. રાત્રિના આશરે સાડાઅગિયાર વાગ્યાની આસપાસ આરોપી કમલેશ ઉર્ફે રાજ દિલીપ રમદેવ અને સાહિલ કુરબાનખાન પઠાણ સાથે સૂરજને ગુટકા ખાવાના પૈસા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ સામાન્ય તકરાર જોતજોતાંમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. ઉશ્કેરાયેલા કમલેશ અને સાહિલે સૂરજ પર ચપ્પુ વડે આડેધડ હુમલો કરી દીધો હતો. સૂરજને ગંભીર હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સગીર અને અન્ય એકને દબોચ્યોમૃતક સૂરજને સાહેદ સાહિદખાન ઉર્ફે બાબા સાથે પાન-ગુટકાના પૈસા બાબતે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન આરોપી કમલેશ ઉર્ફે રાજ દિલીપ રણદેવે અને તેની સાથે રહેલા એક સગીરે ઉશ્કેરાઈ જઈ સૂરજ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. શરીરના અલગ-અલગ ભાગે ઘા વાગવાથી સૂરજનું સ્થળ પર જ મોત થયું હતું. સચિન પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી કમલેશ અને હત્યામાં સામેલ સગીરને ડીટેઈન કરી લીધા છે. પોલીસની કામગીરી પર સવાલસુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં આ ત્રીજી હત્યા છે, જે દર્શાવે છે કે ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી. ઝફરનો પરિવાર હવે એટલો ડરી ગયો છે કે તેઓ સુરત છોડીને હંમેશા માટે બિહાર પરત જવા માંગે છે. પરિવાર ન્યાયની ગુહાર લગાવી રહ્યો છે અને અપીલ કરી રહ્યો છે કે જે રીતે તેમના નિર્દોષ સ્વજનની હત્યા કરવામાં આવી છે, તે જોતા અન્ય કોઈ પરપ્રાંતિય શ્રમિક સાથે આવું ન થાય તે જોવાની જવાબદારી પ્રશાસનની છે. ભેસ્તાન પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.
વડોદરા શહેરમાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગત રોજ શહેરના એરપોર્ટ પાર્ટીપ્લોટ પાસે થ્રી વ્હીલર ટેમ્પો પલટી જતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં વધુ સારવાર માટે શહેરની સયાજી હોસ્પિટલમાં ઓર્થો વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં આજે સવારે સારવાર દરમિયાન મોત નીપજતા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ મામલે હરણી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ટેમ્પો પલટી જવાના કારણે ગંભીર ઈજા થતા મોતવડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલા શ્રી સિદ્ધનાથ પ્લેનેટમાં રહેતા અને ખાનગી નોકરી કરતો યુવક મયુરકુમાર રાજેશભાઈ રાણા (ઉંમર વર્ષ 31) ગઈકાલે સવારે એરપોર્ટ પાસે આવેલા પાર્ટીપ્લોટ પાસે થ્રી વ્હીલર ટેમ્પો પલટી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને પ્રથમ સારવાર માટે વીઆઇપી રોડ કારેલીબાગ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ યુવકનું સયાજી હોસ્પિટલમાં આવેલ SICU ઓર્થો બી યુનિટમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મજાકમાં સ્ટેરીંગ ખેંચતા અકસ્માત સર્જાયોઆ મામલે હરણી પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ યુવક ખાનગી નોકરી કરતો હતો અને તે તેના મિત્ર સાથે થ્રી વ્હીલર ટેમ્પો લઈ જતો હતો ત્યારે મજાક કરી સ્ટેરીંગ ખેચાતા તે પલટી મારી તેના પર પડતા ગંભીર ઇજાઓને લઈ આજે સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. હાલમાં યુવકનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. આ મામલે હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કીર્તિ સ્તંભ પાસે રિક્ષા પલટી જતા બે લોકો ઈજાગ્રસ્ત આ સાથે અન્ય એક બનાવમાં આજે સવારે શહેરના કીર્તિ સ્તંભ પાસે એક રીક્ષા પલટી ગઈ હતી. જેમાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તમાં દેવીલાલ ઉદયલાલ સાલવી ( ઉંમર વર્ષ 30) અને આશા અમિતભાઈ મડલોઈ (ઉંમર વર્ષ 19, રહે કાસલા ગામ દાહોદ) સવારે કીર્તિસ્તંભ પાસે રીક્ષા પલટી જતા ઇજાગ્રસ્ત થયા હતા અને હાલમાં સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
હળવદમાં યુવાનના પિતા પર તલવારથી હુમલો:યુવતી સાથે સંબંધની શંકાએ ઘરમાં ઘૂસી માતા-બહેનને પણ માર માર્યો
હળવદમાં યુવતી સાથે સંબંધ હોવાની શંકાના આધારે ત્રણ શખ્સોએ એક યુવાનના ઘરમાં ઘૂસીને તેના પિતા પર તલવાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવાનના પિતાને માથામાં ગંભીર ઈજા થઈ હતી. હુમલાખોરોએ યુવાનની માતા અને બહેનને પણ ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના હળવદ માર્કેટ યાર્ડ સામેના ભાગમાં રહેતા મુકેશભાઈ રતનજીભાઈ બારૈયા (ઉંમર 45)ના ઘરે બની હતી. મુકેશભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગોપાલ લીલાભાઈ કોળી, મનસુખ લીલાભાઈ કોળી અને મહેશ ઉર્ફે મલો ભોલાભાઈ કોળી (રહે. ભવાનીનગર ઢોરા વિસ્તાર, હળવદ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, મુકેશભાઈ, તેમના પત્ની મધુબેન, દીકરી દક્ષા, જમાઈ અને દીકરો જયદીપ ઘરે હાજર હતા ત્યારે આરોપીઓએ દરવાજો ખખડાવ્યો હતો. મધુબેને દરવાજો ખોલતા જ ત્રણેય આરોપીઓ તલવાર અને ધોકા સાથે ઘરમાં ઘૂસી ગયા હતા. આરોપીઓએ મુકેશભાઈના દીકરા જયદીપને તેમની બહેન સાથે સંબંધ હોવાની શંકા રાખીને ગાળો ભાંડી હતી. ત્યારબાદ ગોપાલે મુકેશભાઈના માથાના ભાગે તલવારનો ઘા માર્યો હતો, જ્યારે મનસુખે લાકડાના ધોકા વડે તેમના ડાબા હાથમાં માર મારી ફ્રેક્ચર જેવી ઈજા પહોંચાડી હતી. આટલેથી ન અટકતા, આરોપીઓએ મુકેશભાઈના પત્ની મધુબેનને બંને હાથમાં ધોકા વડે માર માર્યો હતો અને દીકરી દક્ષાના કપાળના ભાગે પણ ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. હુમલાખોરોએ ફરિયાદી અને સાક્ષીઓને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઈજાગ્રસ્ત થયેલા ત્રણેય વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે મુકેશભાઈની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
તમે સાયન્સ માટે બન્યા નથી.” એક સમયે આ વાક્યએ પ્રિયંકા પટેલને ખુબજ હતાશ કરી નાખ્યા હતા. ધોરણ 11માં ફિઝિક્સમાં નાપાસ થયા પછી, શિક્ષકે તેમની માતાને કહ્યું કે દીકરીને આર્ટ્સ કે કોમર્સમાં ફેરવી દો. પરંતુ એ દિવસે એક માતાએ હાર માનવાની ના પાડી. “મને એક મહિનો આપો,” હેમંગિનીબેન પટેલે કહ્યું; અને ત્યાંથી થઈ એક અદભુત સફરની શરૂઆત. યોગ્ય માર્ગદર્શન, મહેનત અને આત્મવિશ્વાસ સાથે પ્રિયંકાએ ફરી પરીક્ષા આપીને ફિઝિક્સમાં 70માંથી 67 માર્ક્સ મેળવી લીધા. જે વિષયને ક્યારેક તેમની નબળાઈ ગણવામાં આવતો, એ જ વિષય તેમની ઓળખ બનવા જઈ રહ્યો હતો. ફિઝિક્સમાં ગ્રેજ્યુએશન અને માસ્ટર્સ પૂર્ણ કર્યા બાદ, પ્રિયંકા પટેલ માટે સંશોધનનો વિચાર પહેલી વાર સાચા અર્થમાં જન્મ્યો જ્યારે M.Sc. દરમિયાન તેમના પ્રોફેસર ડૉ. રાજશ્રી જોટાણિયાએ તેમને અભ્યાસ ઉપરાંત “થિંકિંગ આઉટ ઓફ ધ બોક્સ” નું અતિ મહત્વનું પ્રોત્સાહન આપ્યું. પુસ્તકોથી મળતા જ્ઞાનથી આગળ વધી પ્રશ્નો પૂછવાની અને જવાબ શોધવાની પ્રેરણા એ દિવસથી તેમની સાથે રહી. ગણપત યુનિવર્સિટીએ તેમની ક્ષમતાને ઓળખી, અને ફક્ત ઓળખી જ નહીં, તેમને ડોક્ટરલ સંશોધન કરવાની તક આપી. પી.એચ.ડી.ની સફર સહેલી ન હતી. લાંબા કલાકો, વારંવાર નિષ્ફળતાઓ, અને સંશોધન પ્રકાશન નું સતત પ્રેશર—આ બધાની વચ્ચે પ્રિયંકાએ એક વાત શીખી. “પી.એચ.ડી. તમને ધીરજ શીખવે છે. રોજ તમે હારો છો, પણ ઝાડની જેમ અડગ ઊભા રહેવું પડે.” આ સમગ્ર પ્રવાસ દરમિયાન તેમને આધ્યાત્મિક શક્તિનું વિશેષ બળ મળતું રહ્યું. તેઓ માને છે કે વિજ્ઞાન અને આધ્યાત્મ બંને સાથે ચાલે છે. તેઓ એકબીજાના વિરોધી નહીં પરંતુ પૂરક છે. શ્રી કૃષ્ણ અને રાધારાણી પરની શ્રદ્ધાએ તેમને સૌથી કઠિન સમયમાં પણ સંતુલન અને હિંમત આપી. ડૉ. પ્રિયંકાની સંશોધન કારકિર્દીનો મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમને ISROના સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર, અમદાવાદમાં ક્રાયોસ્ફેરિક સાયન્સિસ ડિવિઝનમાં ટ્રેઇની તરીકે પસંદ કરવામાં આવ્યા. અહીં પહેલી વાર એન્ટાર્કટિકા માત્ર નકશામાં રહેલો ખંડ નહોતો રહ્યો. વરિષ્ઠ વૈજ્ઞાનિકો પાસેથી બરફીલા ખંડ પર વિતાવેલા મહિના, અતિશય ઠંડીમાં કરેલા પ્રયોગો, અને વૈશ્વિક હવામાન સંશોધનમાં એન્ટાર્કટિકાની ભૂમિકા જેવી વાતો એ તેમના મનમાં એક શાંત સ્વપ્નનું બીજ રોપ્યું. એક દિવસ માત્ર સેટેલાઇટ ડેટા નહીં પણ પોતાની જાતે જ બરફ પર ઊભા રહી સંશોધન કરવાની ઇચ્છા નો જન્મ થયો. સંશોધન દરમિયાન તેમને ISROના સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર સાથે કામ કરવાની તક મળી. ગણપત યુનિવર્સિટી અને SAC–ISROના સહયોગી પ્રોજેક્ટ હેઠળ જુનિયર રિસર્ચ ફેલો તરીકે તેમની નિમણૂક થઈ. “Investigation of Ice Sheet Mass Balance Using Multi-Sensor Spaceborne Data” વિષય પર ડૉ. સંદીપ આર. ઓઝાના સક્ષમ માર્ગદર્શન હેઠળ પ્રિયંકાની પીએચડીની યાત્રા શરૂ થઈ. ડૉ. ઓઝાએ તેમની વિચારશક્તિ અને વિશ્લેષણાત્મક ક્ષમતા ઓળખી. આવા નિપુણ માર્ગદર્શનથી પ્રિયંકાનો વિશ્વાસ વધુ મજબૂત બનતો ગયો. લદ્દાખના ઝાંસ્કાર વિસ્તારમાં આવેલા દ્રાંગ ડ્રુંગ ગ્લેશિયર પર દસ દિવસનું ફીલ્ડ ટ્રેનિંગ તેમની સફરનું મહત્વપૂર્ણ પગથિયું સાબિત થયું. પહેલી વાર બરફને સ્પર્શ્યો, ગ્લેશિયરને નજીકથી જોયું ત્યારે ખરા અર્થ માં સમજાયું કે સેટેલાઇટ પરથી મળતા આંકડા ત્યારે જ સાચા અર્થ મેળવે છે, જ્યારે જમીન પરના અનુભવ સાથે જોડાય. અને પછી આવ્યું સૌથી અદભુત પ્રકરણ — એન્ટાર્કટિકા ભારતની 44મી વૈજ્ઞાનિક એન્ટાર્કટિક અભિયાન માટે પ્રિયંકાની પસંદગી તેમની પી.એચ.ડી. સફરનો સૌથી નિર્ણાયક અધ્યાય બન્યો. મેડિકલ ટેસ્ટ, પ્રી-એન્ટાર્કટિક ટ્રેનિંગ, ગોવાથી કેપટાઉન સુધીની હવાઈ મુસાફરી, અને સંશોધન જહાજ દ્વારા લાંબી અને થકાવનારી સમુદ્રી યાત્રા કાર્ય બાદ તેમણે દુનિયાના સૌથી કઠોર ખંડ પર પગ મૂક્યો. હાડ થિજવી નાખે એવી ઠંડી, એકાંત અને અતિ કઠિન કામ દરેક દિવસ એક પરીક્ષા હતો. ભારતના ભારતી અને મૈત્રી સંશોધન સ્ટેશનો નજીક પ્રિયંકાએ સબ-ઝીરો તાપમાન, તીવ્ર પવન અને શારીરિક થાક વચ્ચે કામ કર્યું. દરરોજનું જીવન જ એક પડકાર હતું. આ અતિ કઠિન પરિસ્થિતિઓમાં તેમણે બરફ પર વૈજ્ઞાનિક માપણો, મેદાની અવલોકનો અને ડેટા કલેક્શનની જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી. દરેક ડેટા પોઇન્ટ માટે શારીરિક સહનશક્તિ, માનસિક સ્થિરતા અને ટીમવર્ક જરૂરી હતું. જે આંકડા ક્યારેય કમ્પ્યુટર સ્ક્રીન પર ગ્રાફ અને નકશા હતા, એ હવે એક જીવંત અનુભવ બની ગયા. એન્ટાર્કટિકા હવે માત્ર સંશોધન ક્ષેત્ર નહોતું, એ પ્રિયંકાની વિચારધારા, ધીરજ અને લક્ષ્યને નવી ઊંચાઈ આપનાર જગ્યા બની ગઈ. “એ જગ્યાની સુંદરતા મારા હ્રદય માં વસી ગઈ છે,” તેઓ કહે છે, “એન્ટાર્કટિકા મને ખરેખર સ્વર્ગ જેવું લાગ્યું.” પરત ફર્યા પછી અંતિમ ચરણ થિસિસ લખવાનું કાર્ય શરૂ થયું. વર્ષોની મહેનત બાદ 18 ડિસેમ્બર 2025 ના દિવસે તેઓએ સફળતાપૂર્વક પી.એચ.ડી. ડિફેન્સ આપી. અને આખરે એ વાક્ય સંભળાયું, જે માટે તેમણે આ આખી સફર ખેડી હતી “અભિનંદન, હવે તમે ડૉ. પ્રિયંકા પટેલ છો.” પરંતુ તેમના માટે સાચી ડિગ્રી તો એ ક્ષણ હતી જ્યારે તેમના માતા-પિતાએ ઊભા રહીને તાળીઓ પાડી. આ સફર તેઓ પોતાની માતા હેમંગિનીબેન પટેલ, પિતા મહેશભાઈ પટેલ અને ભાઈ નિકુંજ પટેલને સમર્પિત કરે છે કે જેઓએ દરેક પરિસ્થિતિ માં એમની પર વિશ્વાસ રાખ્યો. તેમના પી.એચ.ડી. માર્ગદર્શક ડૉ. કુન્વર યાદવે શિસ્તબદ્ધ માર્ગદર્શન, અડગ વિશ્વાસ અને સતત હિંમત આપીને પ્રિયંકાના ડોક્ટરલ સંશોધનને મજબૂત દિશા આપી. તેમના સાથસહકારથી પ્રિયંકાની પી.એચ.ડી. સફર તણાવથી ભરેલી નહીં, પરંતુ એક સંતુલિત, વિશ્વાસપૂર્ણ અને સારી રીતે “manageable” રહી. આવો અનુભવ બહુ ઓછા સંશોધનકર્તાઑને મળે છે. પોતાની આ સફળતા માં ડો. પ્રિયંકાએ સ્વર્ગસ્થ ડૉ. કેયુર ભટ્ટ સરનો પણ અંતઃકરણ પૂર્વક આભાર માન્યો. ડૉ. પ્રિયંકા પટેલની કહાની આપણને એક જ વાત શીખવે છે, નિષ્ફળતા અને સફળતા એકબીજાના વિરોધી નથી, પરંતુ નિષ્ફળતા જ સાચી સફળતા નો આધાર છે. જ્યાં હિંમત છે, ત્યાં અંતે સિદ્ધિ ચોક્કસ મળે છે.
ઓમ કોમ્યુનિકેશન દ્વારા તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ આયોજિત સંત સાહિત્ય પર્વના પ્રથમ દિવસે કવિરાજ સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીના જીવન અને કવન પર વ્યાખ્યાન યોજાયું હતું. આત્મા હોલ, આશ્રમ રોડ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ આ વ્યાખ્યાન આપ્યું હતું. અનેક સાહિત્યકારો અને ધર્મપ્રેમીઓએ તેનો લાભ લીધો હતો. સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય ક્ષેત્રે મહત્તમ પ્રદાન રહ્યું છે. કવિશ્વર ન્હાનાલાલે પણ નોંધ્યું છે કે, શ્રી સ્વામિનારાયણ સદ્ધર્મ પ્રણાલિકાઓ, બ્રહ્મચર્ય અને સંત કવિવરોએ સંપ્રદાયને ઘડ્યો અને પ્રવર્તાવ્યો છે. બ્રહ્માનંદ, પ્રેમાનંદ, મુક્તાનંદ, નિષ્કુળાનંદ, ભૂમાનંદ, દેવાનંદ, યોગાનંદ અને મંજુકેશાનંદ સ્વામી સંપ્રદાયના મુખ્ય અષ્ટ કવિઓ હતા. સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંત અને કવિ હતા. તેમનું જીવન વૈરાગ્ય, ભક્તિ, સેવા અને દાસભાવ માટે પ્રેરણાદાયી રહ્યું છે. તેઓ વિદ્વાન હોવા ઉપરાંત કવિ પણ હતા. તેમણે કુલ ૩૨ શાસ્ત્રોની રચના કરી છે, જેમાં ૫ સંસ્કૃત, ૧૭ હિન્દી, ૮ ગુજરાતી અને ૨ વ્રજ ભાષામાં છે. આ ઉપરાંત, તેમણે ૮૦૦૦થી વધુ કીર્તનો પણ રચ્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને શ્રી મુક્તાનંદ સ્વામીને આજીવન ગ્રંથોની રચના કરવાની આજ્ઞા કરી હતી, જેનું તેમણે પાલન કર્યું. શ્રી મુક્તાનંદ સ્વામી ગાયન, વાદન અને નૃત્ય કલામાં પણ પ્રવીણ હતા. એક પ્રસંગે ગઢપુરમાં ગ્વાલિયરના ગવૈયાઓ આવ્યા હતા, ત્યારે શ્રી મુક્તાનંદ સ્વામીએ કીર્તનનું ગાન અને નૃત્ય કરતાં કરતાં પગથી હાથીની અદ્ભૂત કૃતિની રચના કરી દીધી હતી, જે જોઈને ગવૈયાઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સાધુ પ્રેમવત્સલદાસજીએ વધુમાં જણાવ્યું કે, આ સંત સાહિત્ય પર્વનું આયોજન ઓમ કોમ્યુનિકેશન દ્વારા સતત બીજા વર્ષે કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમના સફળ આયોજનમાં શ્રી મનીષભાઈ પાઠકે મહત્તમ યોગદાન આપ્યું હતું, જેમના દ્વારા સાહિત્યના સંવર્ધન અને પ્રવર્તનના કાર્યો પ્રશંસનીય છે.
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એટલે કે NMMS પરીક્ષા યોજાઈ રહી છે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ-8માં અભ્યાસ કરતા કુલ 2 લાખ 18 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે. આ પરીક્ષા રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં આવેલા કુલ 861 પરીક્ષા કેન્દ્રોમાં યોજાશે, જેમાં 7604 બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્યભરમાંથી કુલ 2,18,305 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભર્યા હતા. કોણ આપી શકે છે NMMSની પરીક્ષાNMMS શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત વાલીની વાર્ષિક આવક સાડા ત્રણ લાખ રૂપિયાથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓને મેરિટના આધારે પસંદગી કરવામાં આવે છે. પરીક્ષા બાદ રાજ્યના કુલ 5097 વિદ્યાર્થીઓની મેરિટ મુજબ પસંદગી થશે. પસંદ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ-9 થી 12 સુધી દર વર્ષે 12 હજાર રૂપિયા મુજબ કુલ 48 હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. મેરિટમાં આવનારા વિદ્યાર્થીઓને મળે છે દર મહિને 1,000ની રૂપિયાની સબસિડીઆજે વહેલી સવારથી જ અનેક શાળાઓના શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. મેમનગર પ્રાથમિક શાળાના શિક્ષક રોનક પટેલે જણાવ્યું હતું કે, આજે ધોરણ-8ના વિદ્યાર્થીઓ માટે NMMS શિષ્યવૃત્તિની મહત્વપૂર્ણ પરીક્ષા છે. આ પરીક્ષા દ્વારા બાળકોને ચાર વર્ષ માટે દર મહિને એક હજાર રૂપિયા મુજબ શિષ્યવૃત્તિ મળે છે. સમગ્ર ગુજરાતમાંથી બે લાખથી વધુ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓમાં પણ પરીક્ષા અંગે ઉત્સાહ જોવા મળ્યો. મેમનગર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ઇશિકાએ જણાવ્યું કે, હું આજે NMMS ની પરીક્ષા આપવા મીરાંબિકા સ્કૂલમાં આવી છું. અમારી તૈયારી બહુ સારી છે અને શિક્ષકોએ અમને ખૂબ સારી રીતે તૈયાર કરાવ્યા છે. અન્ય વિદ્યાર્થીની પ્રિયાએ પણ કહ્યું કે, આજે અમારી NMMS ની એક્ઝામ છે.
વડોદરા શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલ દૂધવાળા મહોલ્લામાં સવારે અચાનક એક જર્જરિત મકાન ધરાશાયી થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મકાન ધરાશાયી થતા બે થી ત્રણ વાહનો અને સાયકલ દટાઈ હતી. આ મકાન કેટલાક સમયથી જર્જરિત હતું અને ત્યાં કોઈ રહેતું ન હતું. મકાન માલિક અને તેના પરિવારમાં વિવાદોના કારણે આ મકાન ઉતરવામાં આવ્યું ન હતું. જેના કારણે આખરે આજે તે ધરાશાયી થયું હતું. લાંબા સમયથી જર્જરિત મકાન ધરાશાયી થયુંમકાન ધરાશાયી થતા જ ધડાકાભેર અવાજ સંભળાયો હતો. જેના કારણે આસપાસના લોકો બહાર દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં વીજ વિભાગ, ગેસ વિભાગ અને નિર્ભયતા શાખાને જાણ કરી વધુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદ નસીબે જાનહાનિ ટળી છે. જાનહાનિ ટળી, વાહનોને નુકસાનઆ અંગે બદામડીબાગ ફાયર વિભાના સ્ટેશન ઓફિસર પ્રતાપ ડામોરે જણાવ્યું હતું કે, ન્યાય મંદિર દૂધવાળા મહોલ્લામાં મકાન પડ્યું હોવાની વિગતો મળતા અમારી ટીમ તાત્કાલિક આવી ગઈ હતી. અહીંયા ત્રણ માળના મકાન બાંધકામની કામગીરી ચાલી રહી છે તેની બાજુમાં આવેલ મકાન ધરાશાયી થયું છે. હાલમાં ગેસ વિભાગ, નિર્ભયતા શાખા અને વીજ કંપનીની ટીમ બોલાવી લેવામાં આવી છે. હાલમાં જાનહાનિ થઈ નથી પરંતુ ત્રણ જેટલા વાહનો દબાયા છે. આ વિસ્તારમાં જર્જરિત મકાનના માલિક મહોમ્મદ હુસૈને જણાવ્યું હતું કે, આ જર્જરીત હતું તે અંગેની જાણ અમે લગત વિભાગને જાણ કરી હતી. આ બાબતે મારા કાકાનો દીકરો મકાન ઉતરવા દેતો ન હતો. જેના કારણે આ ઘટના બની છે. સામેના મકાનને થોડું નુકસાન થયું છે અને કેટલાક વાહન દબાયા છે. અમે અમારી બધી કોશિશ કર્યા હતી, જર્જરિત થતા તે પડી ગયું છે.
વિજાપુર તાલુકાના એક ગામમાં કૌટુંબિક સંબંધોને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. જેમાં એક 46 વર્ષીય પરણીત મહિલાની એકલતાનો લાભ લઈ તેનો જ કુટુંબી દિયર શારીરિક અડપલાં કરી પરેશાન કરતો હોવાની ફરિયાદ લાડોલ પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે આરોપી દિયર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રૂમમાં બેસવાના બહાને આવી ભાભી સાથે શારીરિક અડપલાં કરતોવિજાપુર તાલુકાના એક ગામમાં 46 વર્ષીય મહિલા તેના પતિ સાથે મકાનના ઉપરના માળે રહે છે. જ્યારે નીચેના ભાગમાં તેના સાસુ અને કુટુંબી દિયર રહેતા હતા. મહિલાનો પતિ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પતિ સવારે ધંધાર્થે બહાર જાય ત્યારે ઉપરના રૂમમાં એકલી રહેતી ભાભી પર દિયર નજર બગાડતો હતો. દિયર અવારનવાર ઉપરના રૂમમાં બેસવા જવાના બહાને આવી મહિલા સાથે શારીરિક અડપલાં કરતો હતો. શરૂઆતમાં મહિલાએ આબરૂ જવાની બીકે મૌન ધારણ કર્યું હતું. સાસુએ વાત દબાવી દેવા દબાણ કર્યું હતુંદિયરની પજવણી સતત વધતા મહિલાએ આ અંગે પોતાની સાસુને જાણ કરી હતી. જોકે સાસુએ પણ દીકરાનો પક્ષ લેતા 'ઘરની વાત ઘરમાં જ રહે અને ઈજ્જત ન જાય' તેમ કહી વાત દબાવી દેવા જણાવ્યું હતું. દિયરની હરકતોમાં કોઈ સુધારો ન આવતા અંતે મહિલાએ હિંમત ભેગી કરી તેના પતિને આપવીતી જણાવી હતી. દિયરે ગાળાગાળી કરી ભાઈ-ભાભીને મારવા દોડ્યો હતોગત 1 જાન્યુઆરી 2025ના રોજ જ્યારે મહિલાનો પતિ ઘરે હતો, ત્યારે દંપતી દિયરને આ બાબતે ઠપકો આપવા નીચે ગયું હતું. તે સમયે ઉશ્કેરાયેલા દિયરે ગાળાગાળી કરી દંપતીને મારવા દોડ્યો હતો. ડરના માર્યા મહિલાએ ઉપર જઈ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો, ત્યારે દિયરે બહારથી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ફરિયાદ નોંધાઈઆખરે કૌટુંબિક દિયરના ત્રાસથી કંટાળીને મહિલાએ લાડોલ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે આરોપી દિયર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 74, 352, અને 351(3) મુજબ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
નવસારી નેશનલ હાઈવે નંબર 48 પર આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મજૂરોને લઈ જતી બસ અને એક કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં 10થી વધુ શ્રમિકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક વિગતો અનુસાર, બુલેટ ટ્રેનના મજૂરોને લઈ જતી બસ હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે એક કન્ટેનર ચાલકે બેફામ ગતિએ ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓવરટેક કરતી વખતે કન્ટેનરનો પાછળનો ભાગ બસ સાથે ધડાકાભેર અથડાયો હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં સવાર મુસાફરોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે, જેમાંથી અમુકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માત બાદ કન્ટેનર ચાલક પોતાનું વાહન મૂકીને અથવા વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. પોલીસે અજાણ્યા કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને કારણે હાઈવે પર કિલોમીટરો સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ટ્રાફિક હળવો કરી હાઈવે ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરી હતી અને વાહનોની લાંબી કતારોને ડાયવર્ટ કરીને સ્થિતિ થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા.
નવસારીના ચાપલધરા ગામમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL)ના હાઈટેન્શન વાયર તૂટવાને કારણે ત્રણ ખેડૂતોની આશરે 200 ટન શેરડી બળીને ખાક થઈ ગઈ હતી. આ ઘટના 27 સપ્ટેમ્બરે બની હતી, પરંતુ એક વર્ષ વીતી ગયા છતાં ખેડૂતોને હજુ સુધી વળતર મળ્યું નથી, જેના કારણે તેમની ચિંતા વધી છે. 1100 વોલ્ટની હાઈટેન્શન લાઈનનો વાયર તૂટ્યોવાંસદા તાલુકાના ચાપલધરા ગામના ખેડૂતો નરેન્દ્રસિંહ પરમાર, નિરવસિંહ પરમાર અને હરિસિંહ પરમારે કુલ 5 વીઘા જમીનમાં શેરડીનો પાક ઉગાડ્યો હતો. ગત 27 સપ્ટેમ્બરની બપોરે ભારે પવન ફૂંકાતા નરેન્દ્રસિંહ પરમારના ખેતરમાંથી પસાર થતી DGVCLની 1100 વોલ્ટની હાઈટેન્શન લાઈનનો વાયર તૂટીને ઉભા પાક પર પડ્યો હતો. જેના કારણે શેરડીના ખેતરોમાં આગ લાગી અને સમગ્ર પાક બળીને રાખ થઈ ગયો. ખેડૂતોએ DGVCLને જરૂરી દસ્તાવેજો પણ આપ્યાઆ ઘટના બાદ ખેડૂતોએ DGVCL પાસેથી વળતરની માંગણી કરી હતી અને જરૂરી દસ્તાવેજો સુપરત કર્યા હતા. DGVCL દ્વારા ખેતરોની મુલાકાત લઈ પંચક્યાસ કરવામાં આવ્યો હતો. કંપની સાથે સંકળાયેલી ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પણ સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં બે ખેડૂતોને 85 ટકા અને એક ખેડૂતને 25 ટકા નુકસાન થયું હોવાનું આંકવામાં આવ્યું હતું. ખેડૂતોને માત્ર આશ્વાસનો જ મળ્યાDGVCL અને ઇન્શ્યોરન્સ કંપનીની કાર્યવાહી પૂર્ણ થયા પછી પણ ખેડૂતોને માત્ર આશ્વાસનો જ મળ્યા છે. વળતરની રકમ ન મળતા ખેડૂતોને નવો પાક લેવામાં મુશ્કેલી પડી રહી છે. આથી, ખેડૂતોએ વીજ કંપનીના અધિકારીઓ અને રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈને વહેલી તકે ન્યાય આપી વળતર ચૂકવવા અપીલ કરી છે. ગામના આગેવાને DGVCLની પ્રિ-મોન્સુન કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે. 'ઇન્શ્યોરન્સ ટીમની ચકાસણી ચાલી રહી છે'દક્ષિણ ગુજરાત વીજ કંપનીની રાનકુવા પેટા વિભાગ કચેરીના નાયબ ઈજનેરે જણાવ્યું હતું કે, ચાપલધરાના ખેડૂતોની શેરડી બળી જવાની ઘટનામાં તેમની દ્વારા જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને કાગળો ઇન્શ્યોરન્સ કંપનીને મોકલવામાં આવ્યા છે. તેમણે વિલંબનું કારણ ઇન્શ્યોરન્સ કંપનીની લીગલ ટીમમાં ચકાસણી ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. સાથે જ, તેમણે પ્રિ અને પોસ્ટ મોન્સુન કામગીરી યોગ્ય રીતે થતી હોવાનો દાવો કર્યો હતો અને ઉમેર્યું હતું કે ખેતર વિસ્તારમાં વીજ થાંભલા નમી જવા કે તાર ઝુલતા હોવાની ફરિયાદ મળતા કાર્યવાહી કરવામાં આવે છે.
રાજકોટના એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે ગતરાત્રિના એક અજીબ ઘટના જોવા મળી હતી. એક ‘EX MLA GUJARAT’ લખેલી મર્સિડીઝ કારને પાર્ક કરવા ડ્રાઈવરે રોડ પર કોર્પોરેશન દ્વારા લગાવેલું સાઈન બોર્ડ ઉખેડવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તે નીકળતું નથી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, ડ્રાઈવર મર્સિડીઝમાંથી ઉતરે છે અને આજુ-બાજુ જુએ છે. બાદમાં સાઈન બોર્ડને જડમૂળમાંથી ઉખેડવાનો પ્રયત્ન કરે છે. બાદમાં બોર્ડ ન ઉખડતા ફરી કારમાં જતો રહે છે. દિવ્ય ભાસ્કરે ‘EX MLA GUJARAT’ લખેલી મર્સિડીઝ કાર નંબર GJ18BJ6763ની તપાસ કરતા આ કાર ગુજરાતના પૂર્વ નાણામંત્રી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની હોવાનું સામે આવ્યું હતું. આ કાર અમીન માર્ગ રોડ પર આવેલા વજુભાઈ વાળાના નિવાસસ્થાને હાજર હતી. સાઈન બોર્ડ નડતરરૂપ, કારમાં નુકસાન પહોંચ્યુંઃ ડ્રાઈવર ડ્રાઈવરની કરતૂત અંગે દિવ્ય ભાસ્કર સાથે થોડી વાત કર્યા બાદ વજુભાઈ ઘરમાં ચાલ્યા ગયાં હતાં. થોડીવારમાં જ વીડિયોમાં દેખાતો ડ્રાઇવર ઘરમાંથી જ બહાર નીકળ્યો હતો. ડ્રાઈવર સાથે વાત કરતા તેણે કહ્યું કે, એથલેટિક્સ ગ્રાઉન્ડ પાસે કારનું પાર્કિંગ કરવાનું હોવાથી તે જગ્યાએ સાઈન બોર્ડ લગાવવામાં આવેલું હતું, જે નડતરરૂપ હતું તેથી તેને હલાવ્યું, પરંતુ ઉખેડ્યું નથી. તે સાઈન બોર્ડના કારણે કારમાં નુકસાન પણ પહોંચ્યું હતુ. જોકે, તે વ્યક્તિએ પોતાનું નામ ન આપ્યું અને ચાલ્યો ગયો હતો. આ ડ્રાઈવરનું નામ રણવીરભાઈ હોવાનું સામે આવ્યુ છે. સરકારી પ્રોપર્ટીને નુકસાન થતું હતું, એટલે વીડિયો ઉતાર્યો હતોઃ પરેશ જોશીડ્રાઈવર દ્વારા કોર્પોરેશન બોર્ડને નુકસાન પહોંચાડવા મામલે વીડિયો ઉતારનાર વ્યક્તિ પરેશ જોશીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે હું વોકિંગ કરતો હતો, ત્યારે આ ઘટના બની હતી. મર્સિડીઝ કાર પાર્કિંગ કરતા સામે રિવર્સ લેતા બોર્ડ સાથે અથડાઈ હતી, જેથી કારમાંથી એક વ્યક્તિ નીચે ઉતરીને બોર્ડને મૂળમાંથી ઉખેડવા લાગ્યો હતો.
હિંમતનગરમાં પોષી પૂનમે દેવી યાગ, નવચંડી હવન:અંબાજી મંદિરે યાગ, હરસિદ્ધિ મંદિરે હવનનો પ્રારંભ
હિંમતનગરમાં પોષી પૂનમ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજી માતાજીના મંદિરે દેવી યાગ યોજાયો હતો, જ્યારે હરસિદ્ધિ માતાજીના મંદિરે નવચંડી હવનનો પ્રારંભ થયો હતો. પોષી પૂનમ એ અંબાજી માતાજીના પ્રાગટ્ય મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે હિંમતનગરના બસ સ્ટેશન રોડ પર આવેલા અંબાજી માતાજીના મંદિરને શણગારવામાં આવ્યું હતું. યજમાનના હસ્તે દેવી યાગ સંપન્ન થયો હતો, જે બાદ આરતી કરવામાં આવી હતી. દેવી યાગ પૂર્ણ થયા બાદ રામજી સમર્થ ધર્મશાળામાં મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ, હરસિદ્ધિ માતાજીના મંદિરે દર પૂનમે નવચંડી હવનનું આયોજન કરવામાં આવે છે. શનિવારે પોષી પૂનમે યજમાન સ્વ. ચંદ્રિકાબેન વતી પીયૂષભાઈ ઠક્કર દ્વારા પૂજન અર્ચન સાથે હવનનો પ્રારંભ કરાયો હતો. આ હવનની પૂર્ણાહુતિ સાંજે 5:30 કલાકે શ્રીફળ હોમ સાથે કરવામાં આવશે.
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલી તુલસી આંગન રેસિડેન્સીમાં ભગવાન શ્રી રામચંદ્રની સમૂહ મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરતી પોષ સુદ બારસ, બુધવાર, તા. 31/12/2025 ના રોજ યોજાઈ હતી. આ આયોજન શ્રી અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રની પ્રાણ પ્રતિષ્ઠાને બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કરવામાં આવ્યું હતું. તુલસી આંગન રેસીડેન્સીના આયોજકો અને તમામ રહીશોએ આ સમૂહ મહા આરતીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. 31 ડિસેમ્બરના રોજ જ્યારે સામાન્ય રીતે અન્ય કાર્યક્રમો યોજાતા હોય છે, ત્યારે રેસીડેન્સીના રહીશોએ ભગવાન શ્રી રામચંદ્રની ભક્તિપૂર્ણ મહાઆરતી કરીને આસ્થાના દર્શન કરાવ્યા હતા
મોરબી: વિન્ટેજ સિરામિક કારખાનામાં ભયાનક આગ:₹25 લાખથી વધુની ટાઇલ્સ ખાખ; વુડન પેલેટમાં લાગી હતી આગ
મોરબીના ભડીયાદ રોડ પર આવેલા વિન્ટેજ સિરામિક કારખાનામાં તા. 1/1/26ના રોજ આગ લાગી હતી. આ ઘટનામાં વુડન પેલેટ બળી જવાથી તૈયાર સિરામિક ટાઇલ્સને નુકસાન થયું હતું, જેમાં અંદાજે ₹25 લાખથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. આગ કારખાનાના ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલા વુડન પેલેટમાં કોઈ કારણોસર લાગી હતી, જ્યાં તૈયાર માલ મૂકવામાં આવ્યો હતો. આગના કારણે વુડન પેલેટ બળી ગયા હતા અને તેના પર રાખવામાં આવેલો તૈયાર સિરામિક માલ તૂટી પડ્યો હતો. આ ઘટના અંગે સમીરભાઈ વાલજીભાઈ હુલાણી (ઉં.વ. 30, રહે. ભરતનગર, સ્કાય મોલ સામે, સનાળા રોડ, મોરબી) દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમે થાનગઢ તાલુકાના ખાખરાવાળી ગામમાં ગેરકાયદેસર કોલસાના કૂવાઓનું બુરાણ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામેની આ કાર્યવાહીનો પ્રારંભ 2 જાન્યુઆરી, 2026ના રોજ થયો હતો. ચોટીલા સબ-ડિવિઝન હેઠળના ખાખરાવાળી ગામમાં આવેલા તમામ ગેરકાયદેસર કોલસાના કૂવાઓને લોડર મશીનની મદદથી બુરી દેવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે 2 જાન્યુઆરી, 2026ના રોજ મુળી તાલુકાના રાણીપટ ગામમાં સરકારી સર્વે નંબર 136 વાળી જમીનમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન એક ગેરકાયદેસર કોલસાના કૂવામાંથી પાણી બહાર કાઢવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. ગેરકાયદેસર કૂવામાંથી પાણી કાઢવા માટેનું વાયરિંગ ખાનગી માલિકીના સર્વે નંબર 350/પૈકી 2વાળી જમીનમાં રાખવામાં આવેલા ટ્રાન્સફોર્મર સાથે જોડવામાં આવ્યું હતું. આ સરકારી અને ખાનગી જમીનમાંથી અગાઉ ખનન કરાયેલા અન્ય 12 જેટલા ગેરકાયદેસર કોલસાના કૂવાઓ પણ બંધ હાલતમાં મળી આવ્યા હતા, જેમની માપણી કરવામાં આવી હતી. સરકારી જમીનમાં આ ગેરકાયદેસર કોલસાના કૂવામાંથી પાણી કાઢવાનું કામ રાણીપટ, મુળીના વિરમભાઈ રવજીભાઈ સારદીયા દ્વારા કરવામાં આવતું હોવાનું તપાસમાં ખુલ્યું હતું. વિરમભાઈ રવજીભાઈ સારદીયા વિરુદ્ધ ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, 2017) હેઠળ વસૂલાતની કાર્યવાહી સાથે તડીપાર અને લેન્ડ ગ્રેબિંગના નિયમોનુસાર પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત, ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી વિરુદ્ધ પણ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરતમાં આજે સાંજે 5 વાગ્યે સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ દ્વારા આયોજિત 'રાજશ્રી સન્માન સમારોહ' પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેવાના છે. જોકે, આ ભવ્ય કાર્યક્રમના આયોજન વચ્ચે જ આમ આદમી પાર્ટીએ સતત બીજા દિવસે પોતાનો વિરોધ ચાલુ રાખીને શહેરભરમાં લાગેલા સન્માન સમારોહના પોસ્ટરો પર પોતાના વિરોધ દર્શાવતા બેનરો લગાવી દીધા છે, જેનાથી વિવાદ વધુ વકર્યો છે. 'પાટીદાર સમાજના નામે રાજકીય રોટલા શેકતા ભાજપના મંત્રીઓ'-બેનરમાં'આપ' દ્વારા લગાવવામાં આવેલા બેનરોમાં સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ભાજપના મંત્રીઓ પાટીદાર સમાજના નામે માત્ર પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે. વિરોધ પક્ષે સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે સરકાર મોટી અને 'ચૂનો લગાવતી' કંપનીઓના કરોડો રૂપિયાના ટેક્સ માફ કરી શકે છે, તો પછી દાન અને સહકારથી ચાલતી પાટીદાર સમાજની હોસ્ટેલ પાસેથી રૂ. 3 કરોડ જેટલી માતબર રકમ પેઇડ FSI પેટે કેમ વસૂલવામાં આવી રહી છે? આ બેનરોએ શાસક પક્ષ માટે આજે યોજાનાર કાર્યક્રમ પૂર્વે ક્ષોભજનક સ્થિતિ પેદા કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટર અને બેનરોમાં ખાસ કરીને સરકારની ટેક્સ નીતિ અને ભાજપના નેતાઓ પર પ્રહાર કરતા લખાણો લખવામાં આવ્યા છે; 'મેયર હોસ્ટેલને પેઇડ FSIમાંથી મુક્તિ અપાવવામાં નિષ્ફળ રહ્યા'વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ આ મુદ્દે સુરતના મેયર દક્ષેશ માવાણીને પણ ઘેર્યા છે. વિપક્ષ નેતાએ જણાવ્યું કે, મેયર પોતે પાટીદાર સમાજમાંથી આવે છે અને સમાજના જોરે જ તેઓને આ પદ મળ્યું છે, છતાં તેઓ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત હોસ્ટેલને પેઇડ FSIમાંથી મુક્તિ અપાવવામાં નિષ્ફળ રહ્યા છે. સરકાર દ્વારા અગાઉ આ રકમ માફ કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ અંતે તે અરજી નામંજૂર કરી દેવામાં આવતા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 'જો એકને છૂટ આપીશું તો બીજાને આપવી પડશે'પાયલ સાકરિયાએ વધુમાં આક્ષેપ કર્યો કે, રાજ્યના વિદ્યાર્થીઓને શિક્ષણ અને ભૌતિક સુવિધાઓ આપવાની જવાબદારી સરકારની છે, જેમાં તે નબળી પુરવાર થઈ છે. જ્યારે સમાજ રૂ. 1 જેવા નાના દાનથી હોસ્ટેલ જેવું ભગીરથ કાર્ય કરી રહ્યો હોય, ત્યારે સરકાર 'જો એકને છૂટ આપીશું તો બીજાને આપવી પડશે' તેવા બહાના હેઠળ રૂ. 3 કરોડની વસૂલાત કરી રહી છે. 3 લાખ કરોડનું બજેટ ધરાવતી સરકાર માટે શૈક્ષણિક સંસ્થા પાસેથી આવી વસૂલાત શરમજનક છે. AAPના કાર્યકરો હાથમાં પોસ્ટરો અને બેનરો સાથે વિરોધ નોંધાવ્યોઆજે યોજાનાર સન્માન સમારોહના થોડા જ કલાકો પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરો હાથમાં પોસ્ટરો અને બેનરો લઈને જાહેર રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. વિપક્ષે માંગ કરી છે કે સરકાર તાત્કાલિક અસરથી આવી સેવાકીય સંસ્થાઓ માટે પેઇડ FSI માંથી મુક્તિની નીતિ બનાવે. એક તરફ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓનું સન્માન થવા જઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ 'આપ' દ્વારા ઉઠાવવામાં આવેલો આ ટેક્સનો મુદ્દો સમગ્ર સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ગોધરાના ભામૈયા પશ્ચિમ ગામમાં તળાવનું પાણી પ્રદૂષિત થતા પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક ધારાસભ્ય સી.કે. રાઉલજીએ ગોધરા નગરપાલિકા અને પ્રથમેશ એન્ટરપ્રાઇઝના સહયોગથી ગામમાં શુદ્ધ પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરાવી છે. ઉલ્લેખનીય છે કે ગામના તળાવમાંથી શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવતાં ગ્રામજનોમાં ચિંતા અને રોષ વ્યાપી ગયો હતો. તળાવની નજીક જ વોટર વર્ક્સની પાણીની ટાંકી આવેલી હોવાથી ગામના પીવાના પાણી પર સીધું સંકટ ઊભું થયું હતું. ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય સી.કે. રાઉલજીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. નગરપાલિકા અને પ્રથમેશ એન્ટરપ્રાઇઝ દ્વારા ગામમાં પાણીના ટેન્કરો મોકલી પીવાના પાણીનો પ્રશ્ન હાલ પૂરતો ઉકેલવામાં આવ્યો હતો પાણીના ટેન્કરો ગામમાં પહોંચતા જ મોટી સંખ્યામાં મહિલાઓ વાસણો અને જગ લઈને પાણી ભરવા ઉમટી પડી હતી. મુશ્કેલીના આ સમયે તંત્ર અને ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી આ ત્વરિત કામગીરી બદલ ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, તળાવમાં અસામાજિક તત્વો દ્વારા માંસના થેલા ફેંકવામાં આવ્યા હોવાનું મનાય છે, જેના કારણે પશુઓ અને માનવ આરોગ્ય સામે જોખમ ઊભું થયું હતું. આ મામલે પોલીસ તપાસ અને સફાઈ કામગીરી હાલ ચાલુ છે.
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં રહેતા 74 વર્ષીય વૃદ્ધની સોનાની ચેન ઝૂંટવી લેવાની ઘટના સામે આવી છે. આરોપીએ સ્વિગી કંપનીનું કેસરી રંગનું ટી-શર્ટ પહેરીને એક્ટિવા પર આવ્યો હતો અને પાર્સલ આપવાના બહાને વૃદ્ધને ઘરની બહાર બોલાવી ચેન ઝૂંટવી લીધી હતી. પર્સ ખોલતા તેમાંથી બુંદીનું પેકેટ જ નીકળ્યું હતું. આ મામલે અકોટા પોલીસે સીસીટીવીની મદદથી આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ ઘટના અંગે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનાર વૃદ્ધ હસમુખભાઈ જયરામભાઈ પટેલે જણાવ્યું હતું કે, તા. 3 જાન્યુઆરીના રોજ સાંજના લગભગ 4 વાગ્યે તેઓ અને તેમનાં પત્ની ઘરે હાજર હતા. તે સમયે એક વ્યક્તિ સ્વિગીનું કેસરી રંગનું ટી-શર્ટ પહેરેલો અને માથે હેલ્મેટ લગાવેલો એક્ટિવા લઈને તેમના ઘર પાસે આવ્યો હતો. આ વ્યક્તિએ હસમુખભાઈને ઘરના દરવાજા પાસે બોલાવીને કહ્યું કે, તમારું પાર્સલ છે, સહી કરી આપો. વૃદ્ધે કહ્યું કે તેમણે કોઈ પાર્સલ મંગાવ્યું નથી, તેમ છતાં આરોપીએ નાનું પાર્સલ બતાવીને તેમના હાથમાં આપ્યું. જ્યારે વૃદ્ધ પાર્સલ જોવામાં વ્યસ્ત થયા ત્યારે આરોપીએ તેમના ગળામાં પહેરેલી સોનાની ચેન ખેંચી તોડી લીધી અને એક્ટિવા લઈને નાસી છૂટ્યો હતો. આરોપીના વાહનનો નંબર જોયો નથી. ઝૂંટવાયેલી સોનાની ચેન લગભગ એક તોલા વજનની છે. વૃદ્ધ છેલ્લા આઠ વર્ષથી આ ચેઈન પહેરતા હતા. આ ઘટનાને પગલે અકોટા પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી હસમુખભાઈ જયરામભાઈ પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બનાવ સાંજે આશરે 4:00 વાગ્યે બન્યો હતો. હું જ્યારે ઘરની બહાર બેઠો હતા, ત્યારે એક અજાણ્યો શખ્સ ત્યાં આવ્યો હતો. તે વ્યક્તિએ અગાઉ બે-ત્રણ આંટા માર્યા હતા, પરંતુ મેં તે સમયે કોઈ ખાસ ધ્યાન આપ્યું નહોતું. થોડીવાર પછી તે શખ્સ મારી પાસે આવ્યો અને કહ્યું કે, તમારું પાર્સલ આવ્યું છે. મેં સ્પષ્ટ ના પાડી કે, મેં આવું કોઈ પાર્સલ મંગાવ્યું નથી. તેમ છતાં, પેલા શખ્સે આગ્રહ કર્યો કે આ પાર્સલ તેમનું જ છે. જ્યારે હું પાર્સલ લેવા માટે ઉભા થયો અને તેમાં સહી કરવા માટે આગળ ગયો, ત્યારે તકનો લાભ લઈને તે શખ્સ મારા ગળામાંથી સોનાની ચેન તોડીને ભાગી ગયો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મેં બૂમાબૂમ કરી ત્યારે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં લૂંટારો ફરાર થઈ ગયો હતો, જે પાર્સલની લાલચ આપીને આ લૂંટ કરવામાં આવી હતી, તેમાં તપાસ કરતા માત્ર એક બુંદીનું પેકેટ નીકળ્યું હતું. ગભરામણને કારણે હું એ શખ્સની ગાડીનો નંબર જોઈ શક્યો નહોતો. આ સમયે દોડતી વખતે હું નીચે પડી ગયો હતો જેથી મને પગમાં વાગ્યું હતું.
ગાંધીનગરના ઇન્ફોસિટી ક્લબ ખાતે આયોજિત નવરાત્રિ ઇવેન્ટમાં ટિકિટના પૈસા ચૂકવ્યા વગર છેતરપિંડી આચરવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદની એક મહિલા ઇવેન્ટ મેનેજરને વિશ્વાસમાં લઈ ઓનલાઇન નાણાં ટ્રાન્સફર કર્યાના ખોટા સ્ક્રીનશોટ મોકલી એક ગઠિયો ‘સફેદ પરીંદે’ના 45 મોંઘાદાટ પાસ મેળવી રૂ.4.50 લાખનો ચૂનો લગાવી ગયો હોવાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ ચોપડે નોંધાઈ છે. આરોપીએ બે દિવસમાં 45 પાસની માગણી કરી હતીઅમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા અને 'સફેદ પરીંદે ઇવેન્ટ મેનેજમેન્ટ' કંપની ચલાવતા નમ્રતાબેન પટવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત નવરાત્રિ દરમિયાન ઇન્ફોસિટી ક્લબ ખાતે તેમની કંપની દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. એક પાસની કિંમત રૂ.10,000 નક્કી કરવામાં આવી હતી. આ દરમિયાન ઋષિલ શાહ નામના શખસે નમ્રતાબેનનો સંપર્ક કરી બે દિવસમાં અલગ-અલગ કટકે કુલ 45 પાસની માંગણી કરી હતી. પેમેન્ટના સ્ક્રિનશોટ મળતા ફરિયાદીએ પાસ પોર્ટર કર્યા હતાંબાદમાં તેણે નમ્રતાબેન પાસે બેંક ડિટેલ્સ મંગાવી હતી અને થોડીવારમાં રૂ. 1,40,000 તથા રૂ. 3,10,000 ટ્રાન્સફર થઈ ગયા હોવાના 'ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ'ના સ્ક્રીનશોટ વ્હોટ્સએપ પર મોકલી આપ્યા હતા. આથી પેમેન્ટ થઈ ગયું છે તેમ માનીને નમ્રતાબેને પોર્ટર મારફતે પાસ મોકલી આપ્યા હતા. વાયદા બાદ પણ પૈસા ન આપી ધમકી આપતા પોલીસ ફરિયાદજોકે, ઇવેન્ટ પૂર્ણ થયા બાદ જ્યારે નમ્રતાબેને બેંક એકાઉન્ટ ચેક કર્યું ત્યારે માલૂમ પડ્યું કે, ખાતામાં એક પણ રૂપિયો જમા થયો ન હતો. આ બાબતે ઋષિલ શાહને પૂછતા તેણે જણાવ્યું હતું કે, મેં RTGS કર્યું છે એટલે પૈસા કપાઈ ગયા છે, થોડીવારમાં જમા થઈ જશે. પરંતુ લાંબો સમય વીતવા છતાં નાણાં ન મળતા નમ્રતાબેને તપાસ કરી તો જાણવા મળ્યું કે ઋષિલ શાહ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહે છે. ઋષિલ શાહે શરૂઆતમાં નાણાં ચૂકવવાની બાહેધરી આપી વાયદા કર્યા હતા, પરંતુ અંતે જે થાય તે કરી લો, પૈસા નહીં મળે તેમ કહી ધમકી આપી હતી. આ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી ટેકનિકલ પુરાવા અને વ્હોટ્સએપ ચેટના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
સાબરકાંઠા અને મહેસાણા જિલ્લા વચ્ચે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સમસ્યાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાબરકાંઠાએ અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. દેરોલ ઓવરબ્રિજ બંધ હોવાથી વિદ્યાર્થીઓને લાંબા ડાયવર્ઝનનો ઉપયોગ કરવો પડે છે, જેના કારણે સમય અને પૈસાનો વ્યય થાય છે. ABVP એ ટૂંકા ડાયવર્ઝન માર્ગની વ્યવસ્થા કરવા માંગ કરી છે. ABVP દ્વારા અધિક કલેક્ટરને સુપરત કરાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, હિંમતનગરના દેરોલ ગામ પાસેનો પુલ અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં છે. આ પુલ પરથી ભારે વાહનો તો દૂર, સામાન્ય વાહનવ્યવહાર પણ જોખમી બન્યો છે. તેમ છતાં, અત્યાર સુધી આ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જે ચિંતાજનક બાબત છે. પુલ ઉપયોગમાં ન લઈ શકાય તેવી સ્થિતિમાં હોવાથી વિસનગર અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ અને મહેસાણા તાલુકામાંથી સાબરકાંઠા અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. પુલ બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓ અને ખેડૂતોને ઈડરના વલાસણા રોડ મારફતે વિસનગર જવું પડે છે. આનાથી તેમનો કિંમતી સમય બગડે છે, મુસાફરીનો ખર્ચ વધે છે અને અંદાજિત 40 થી 50 કિલોમીટરનું લાંબુ અંતર કાપવું પડે છે. આ પરિસ્થિતિ વિદ્યાર્થીઓના અભ્યાસ, આરોગ્ય અને સલામતી પર સીધી અસર કરે છે. સાબરકાંઠા ABVP ના જૈનીલ સોનીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મહેસાણા-સાબરકાંઠામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વતી તેઓ તાત્કાલિક માંગણી કરે છે કે આ જર્જરિત પુલને તાત્કાલિક તોડી પાડી નવો પુલ બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે. જ્યાં સુધી નવો પુલ ન બને ત્યાં સુધી તાત્કાલિક નાના ડાયવર્ઝન માર્ગની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે, જેથી વિદ્યાર્થીઓનો સમય અને પૈસા બંનેનો બચાવ થાય. તેમણે ઉમેર્યું કે, હાલમાં પરીક્ષાઓ ચાલી રહી હોવાથી પુલના બંને તરફ એસટી બસની વ્યવસ્થા કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ સરળતાથી અભ્યાસ માટે અવરજવર કરી શકે અને તેમનો સમય તથા પૈસા બચી શકે.
તાપમાનનો પારો 3 ડીગ્રી ગગડતા ઠંડીનું જોર વધ્યું ભાવનગરમાં સતત બીજા દિવસે તાપમાનનો પારો ગગડતા ઠંડીનું જોર વધ્યું હતું અને આજે વહેલી સવારથી ભાવનગર જિલ્લામાં તાપમાનનો પારો વધુ 3 ડીગ્રી ગગડી 14 ડીગ્રી પહોંચતા ઠંડી નું જોર વધ્યું હતું અને ગત રાત્રીથી સવાર સુધી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવન ફૂંકાયો હતો, આજે સાવરથી એકાએક ઠંડી નું જોર વધી રહ્યું છે, આજે તાપમાનનો પારો ગગડીને 14 ડિગ્રીએ પહોંચ્યો હતો અને ભેજ નું પ્રમાણ 82 ટકા પહોંચ્યું હતું, આમ, ઘીમે ધીમે શહેરભરમાં ગુલાબી ઠંડી જામતી જાય છે, ગઈકાલે રાત્રે મહત્તમ તાપમાન 27.9 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 53 ટકા અને પવનની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, આમ લઘુતમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઘટાડાના કારણે ઠંડીનું જોર વધ્યું હતું, આમ, બે દિવસ પહેલા લઘુત્તમ તાપમાન 19.6 ડિગ્રી હતું તે આજે 5.6 ડીગ્રી ઘટી ને 14 ડીગ્રી પહોંચ્યા હતો, આથી શિયાળાની સિઝનમાં ગઈકાલે રાત્રી થી જ લઘુતમ તાપમાનમાં ઘટાડો થતા શહેરીજનો ઠંડીનું જોર જોવા મળી રહ્યું હતું, ગતરાત્રીએ 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હિમભર્યા પવનો ફુંકાયો હતો, ગઈકાલ કરતા આજે એકાએક 3 ડીગ્રીમાં ઘડાડો થતાં ઠંડીનું જોર વધ્યું હતું, ગઇકાલે દિવસભર ઠંડા પવનો નું સામ્રાજ્ય અકબંધ જોવા મળ્યું હતું. લોકો ઘર બહાર નીકળતા પૂર્વે ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા.
રાજકોટ શહેરમાં તા.૧૦ના રોજ આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ યોજાનાર છે. વાઇબ્રન્ટ સમિટને અનુલક્ષીને અગાઉ પ્રવાસન વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ યોજાનાર હતો. તેને બદલે હવે મહાપાલિકાના યજમાનપદે પતંગ મહોત્સવ યોજાશે. સામાન્યરીતે મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ કે ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં પતંગ મહોત્સવ યોજાતો હોય છે ત્યારે આ વખતે અલગ અલગ ચાર મેદાનોમાંથી કોઇ એક મેદાન નક્કી કરવામાં આવશે. જેમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજ સહિત ચાર મેદાનો અંગે વિચારણા કરવામાં આવી રહી છે. આ પતંગ મહોત્સવમાં 50 કરતા વધારે દેશોના પતંગબાજો ભાગ લેશે. આગામી તા. 11મીએ રાજકોટની મારવાડી કોલેજમાં ગુજરાત રીજીયન વાઇબ્રન્ટ સમિટનું આયોજન થનાર છે. જેના ઉદ્દઘાટન માટે વડાપ્રધાન મોદ તા.11 ડિસેમ્બરે બપોરે રાજકોટ આવી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા એક તરફ વડાપ્રધાનના રોડ શો માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે બીજી બાજુ વાઈબ્રન્ટ સમિટના એક દિવસ અગાઉ તા.10 ડિસેમ્બરે જ આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ યોજાશે. અગાઉ આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવનું આયોજન ગુજરાત પ્રવાસન વિભાગ એકલા હાથે કરવાનું હતું. પણ, પતંગ મહોત્સવ માટે રેસકોર્સ મેદાન મળે તેમ ન હોય પ્રવાસન વિભાગે હાથ ઉંચા કરી દઈને રાબેતા મુજબ મહાનગરપાલિકા ઉપર જવાબદારી થોપી દીધી છે. આથી હવે આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ મહાનગરપાલિકાના યજમાનપદે યોજાશે. આ પતંગ મહોત્સવ રેસકોર્સ મેદાનમાં યોજાનાર હતો. જોકે રેસકોર્સ મેદાન ખાનગી પાર્ટી દ્વારા તા. 11 અને 12 ડિસેમ્બર એમ બે દિવસ માટે અગાઉથી બુક કરી દેવાયું છે. તો તા.11ના રોજ વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને રેસકોર્સ મેદાનમાં બસ સહિત ખાનગી વાહનના પાર્કિંગ માટે વ્યવસ્થા કરવાની હોય આ કાર્યક્રમના આયોજકોને પણ તારીખ બદલવા માટે કહેવાયું છે. આમ વાઇબ્રન્ટ સમિટની આનુસાંગિક વ્યવસ્થાના ભાગરૂપે રેસકોર્સ મેદાનમાં આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ યોજી શકાય તેમ નથી. આવી જ રીતે, અગાઉ સ્માર્ટસિટીના અટલ સરોવર વિસ્તારમાં પણ પતંગ મહોત્સવનું આયોજન કરવાની વિચારણા હતી પણ, ત્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હોય મહાનગરપાલિકા દ્વારા દરવર્ષે જે રીતે ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં પતંગ મહોત્સવ યોજે છે તેવી જ રીતે આ વર્ષે પણ ઘર્મેન્દ્રસિંહજી કોલેજનાં મેદાનમાં પતંગ મહોત્સવ યોજાય તેવી શક્યતા છે. જો કે મહાપાલિકા દ્વારા વાઇબ્રન્ટ સમિટને અનુલક્ષીને ધર્મેન્દ્રસિંહજી કૉલેજના મેદાન ઉપરાંત વિરાણી હાઇસ્કૂલ, શાસ્ત્રી મેદાન, ચૌઘરી હાઇસ્કૂલના મેદાનમાં પણ આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ યોજવાની શક્યતા ચકાસવામાં આવી રહી છે. મેયર નયના પેઢડીયાનાં જણાવ્યા મુજબ રાજકોટમાં આગામી તા. 10 ડિસેમ્બરનાં રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાનાર છે. જેના માટે સ્થળ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. આ પતંગ મહોત્સવમાં દેશ અને વિદેશનાં પતંગબાજો ભાગ લેવાના હોવાથી કોઈને પણ અગવડ ન પડે તે રીતે સ્થળ પસંદગી કરવામાં આવશે. અત્યાર સુધીમાં અનેકવિધ રાજયો અને દેશોનાં પતંગ બાજો દ્વારા રજિસ્ટ્રેશન કરાવી લેવાયા છે. અને હજુ આ પ્રક્રિયા ચાલુ છે. બીજીતરફ તંત્ર દ્વારા સ્થળ પસંદ કરવા માટે ચર્ચા વિચારણા ચાલી રહી છે. આ અંગેનો નિર્ણય લેવાયા બાદ ટૂંક સમયમાં સ્થળ જાહેર કરાશે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ગુજરાત ટુરીઝમના સચિવ સાથે યોજાયેલી વિડિયો કોફરન્સ બાદ પ્રવાસન વિભાગે આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ માટે મહાનગરપાલિકાને જવાબદારી સોંપી દીધી હતી. આ પતંગ મહોત્સવમાં 50 કરતા વધુ દેશોના 150થી વધુ પતંગબાજો રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. અને હજુપણ રજિસ્ટ્રેશન ચાલી રહ્યા છે. ત્યારે વધારે પતંગબાજો આ મહોત્સવમાં પોતાની કલા પ્રદર્શિત કરે તેવી શક્યતા હોવાથી હાલમાં આ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ABVPનો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં હલ્લાબોલ:પડતર પ્રશ્નો અંગે કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું
ગોધરા તાલુકાના વિઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પરીક્ષાના પરિણામોમાં વિલંબ, ડિગ્રી સર્ટિફિકેટની ઊંચી ફી અને વાહનવ્યવહારની અપૂરતી સુવિધા જેવા મુદ્દે કુલપતિને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક નિરાકરણની માંગ કરી છે. ABVPના કાર્યકર્તાઓએ યુનિવર્સિટી કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓના હિતમાં અવાજ ઉઠાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટી વહીવટીતંત્ર વિદ્યાર્થીઓની સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન છે, જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે. મુખ્ય મુદ્દાઓમાં પરીક્ષાના પરિણામોમાં વિલંબનો સમાવેશ થાય છે. B.A, B.Com, B.Sc સહિતના સેમેસ્ટર-5 ની પરીક્ષાના 45 દિવસ અને P.G. સેમેસ્ટર-3 ની પરીક્ષાના 30 દિવસ વીતી ગયા હોવા છતાં યુનિવર્સિટી દ્વારા હજુ સુધી પરિણામો જાહેર કરવામાં આવ્યા નથી. આ વિલંબને કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડિગ્રી સર્ટિફિકેટની ઊંચી ફી પણ વિદ્યાર્થીઓ માટે ચિંતાનો વિષય છે. યુનિવર્સિટી દ્વારા U.G. માટે ₹500 અને P.G. માટે ₹1000 ડિગ્રી સર્ટિફિકેટ ફી લેવામાં આવે છે. ABVPએ આ ફી સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ માટે બોજારૂપ ગણાવીને તેમાં તાત્કાલિક ઘટાડો કરવાની માંગ કરી છે. છેલ્લે, વાહનવ્યવહારની સમસ્યા પણ એક ગંભીર મુદ્દો છે. દૂર-દૂરથી આવતા વિદ્યાર્થીઓને બસ સુવિધાના અભાવે 2-2 કિલોમીટર સુધી ચાલીને યુનિવર્સિટી પહોંચવું પડે છે. વિદ્યાર્થી સંગઠને યુનિવર્સિટી દ્વારા પરિવહનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.
ગુજરાત ATSએ પકડેલા 3 આતંકી કેસમાં મોટો વળાંક આવ્યો છે. આતંકીઓ પાસેથી ઘાતક રાઇઝિન ઝેર અને હથિયારો કબજે કરાયા બાદ કેસની ગંભીરતા ધ્યાનમાં લઈને કેન્દ્રીય ગૃહ વિભાગે તપાસ NIAને સોંપવાનો આદેશ આપ્યો છે. હવે NIAની અમદાવાદ યુનિટ આ આતંકી નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરશે. નવેમ્બર 2025માં ગુજરાત ATSએ આતંકી ડો. અહેમદ સૈયદ, આઝાદ સુલેમાન અને સુહૈલની UAPA હેઠળ ધરપકડ કરી હતી. તપાસમાં ખુલ્યું કે ત્રણેય ISKP હેન્ડલર અબુ ખદીજા સાથે સંપર્કમાં હતા અને તેના ઇશારે હથિયારોની હેરાફેરી તથા રાઇઝિન ઝેર બનાવવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા. તપાસ મુજબ, વોન્ટેડ આતંકી હેન્ડલર અબુના આદેશ બાદ ખોરાક કે પાણીમાં રાઇઝિન ઝેર ભેળવી મોટા પાયે જાનહાનિ કરવાનો ષડયંત્ર ઘડાયું હતું. સુરક્ષા એજન્સીઓએ સમયસર કાર્યવાહી કરીને ભયાનક ઘટનાને અટકાવી છે, જ્યારે હવે NIA આ કેસમાં આંતરરાષ્ટ્રીય કડીઓ અને નાણાકીય નેટવર્કની પણ તપાસ કરશે. ISISના 3 આતંકી ગાંધીનગર-બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપાયા હતાઅગાઉ ગુજરાત કે દેશના કોઈ ભાગમાં મોટો આતંકીવાદી હુમલો કરવાની તૈયારીમાં રહેલા ISISના ત્રણ આતંકીઓને ગુજરાત ATSએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા ત્રણ આરોપીઓ પૈકીના એક ડો. સૈયદ અહેમદનો ખતરનાક ઈરાદો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ચીનમાં તબીબી અભ્યાસ કરનાર ડો. સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક હતા. તે સાઈનાઈડથી ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. મોટું ફંડ એકત્ર કરી ગુજરાત કે દેશમાં મોટો આતંકી હુમલો કરવાનો તેનો ઈરાદો હોવાનું હતો. ઝડપાયેલા ત્રણેય ISKP(ઇસ્લામિક સ્ટેટ - ખોરાસાન પ્રાંત)થી પ્રભાવિત હોવાનો ઘટસ્ફોટ થયો છે. 3 વિદેશી બનાવટની પિસ્ટલ, 30 જીવતા કારતૂસ અને 4 લિટર કેસ્ટર ઓઈલ કબજે કરાયું હતુંડો. અહેમદ મોહ્યુદ્દીન સૈયદ મૂળ હૈદરાબાદનો રહેવાસી છે અને ગુજરાત તે હથિયાર કલેક્ટ કરવા આવ્યો હતો. આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ નામના યુપીના આતંકીઓએ રાજસ્થાનના હનુમાગઢથી હથિયારો મેળવીને ગાંધીનગરના કલોલ નજીકના એક કબ્રસ્તાનમાં છોડી દીધા હતા. જે ડો. અહેમદ સૈયદે કલેક્ટર કર્યા હતા. જો કે, તે હથિયારો લઈ પરત હૈદરાબાદ જાય તે પહેલા જ ATSએ તેને દબોચી લીધો હતો. ત્રણેય આતંકીઓ પાસેથી 3 વિદેશી બનાવટની પિસ્ટલ, 30 જીવતા કારતૂસ અને 4 લિટર કેસ્ટર ઓઈલ કબજે કરાયું છે. ડો. અહેમદ મોહ્યુદ્દીન અમદાવાદ આવ્યાની બાતમી મળી હતીગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, હૈદરાબાદનો રહેવાસી ડો. અહેમદ મોહ્યુદ્દીન સૈયદ નામનો આતંકવાદી ગુજરાતમાં હુમલાને અંજામ આપવા માટે અમદાવાદ આવ્યો છે. જેના આધારે એટીએસની ટીમે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી. ટેક્નિકલ એનાલિસિસ કરતા અમદાવાદ-મહેસાણા રોડ પર આવેલા અડાલજ ટોલ પ્લાઝા પાસે એક સિલ્વર કલરની ફોર્ડ ફિગો કારની તલાશી લેતા તેમાંથી ડો. સૈયદ મળઈ આવ્યો હતો. તેના કબજામાંથી બે ગ્લોક પિસ્ટલ અને એક બેરેટા પિસ્ટલ તથા 30 જીવતા કારતૂસ અને 4 લીટર કેસ્ટર ઓઈલ મળી આવ્યું હતું. કલોલના કબ્રસ્તાનમાં સુહેલ અને આઝાદે હથિયાર મૂક્યા, ડો. અહેમદે કલેક્ટર કર્યાએટીએસની તપાસમાં જાણવા મળ્યું કે, ડો. અહેમદ સૈયદ હૈદરાબાદથી ગુજરાત હથિયાર લેવા માટે આવ્યો હતો. તેને હથિયારો કલોલ નજીકના એક કબ્રસ્તાનમાંથી મેળવ્યા હોવાની માહિતી આપી હતી. કલોલ સુધી હથિયારો કઈ રીતે આવ્યા તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. ડો. અહેમદ સૈયદના ફોનમાંથી મળી આવેલા એક નંબરની તપાસ કરતા લોકેશન બનાસકાંઠાનું મળી આવ્યું હતું. એટીએસની એક ટીમ બનાસકાંઠા પહોચી હતી અને બે શકમંદોને લાવી હતી. તેની પૂછપરછ કરતા તેઓના નામ મોહમ્મદ સુહેલ અને આઝાદ શેખ હોવાનું જાણવા મળ્યું હતું. આતંકવાદી માનસિકતા ધરાવતા આ બંને શખસોએ રાજસ્થાનના હનુમાનગઢથી હથિયારો લીધા હતા. આ લોકોએ લખનઉ, દિલ્હી અને અમદાવાદના ઘણા સંવેદનશીલ સ્થળોએ રેકી કરી હતી. UAPA અંતર્ગત ATS પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયોઝડપાયેલા આરોપી અહેમદ મોહ્યુદ્દીન સૈયદ, આઝાદ સુલેમાન શેખ, મોહમ્મદ સુહેદ મોહમ્મદ સલીમ અને વોન્ટેડ આરોપી અબુ ખદીજા સામે ધ અનલોફુલ એક્ટિવિટીઝ(પ્રિવેન્શન) એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા તથા આર્મ્સ એક્ટ હેઠલની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પણ વાંચો: ગાંધીનગરમાંથી ઝડપાયેલા ISISના ત્રણ આતંકીની 'ઝેરીલી' માનસિકતા થોડા મહિના અગાઉ AQISનો પ્રચાર પ્રસાર કરતા 4ની ધરપકડ કરાઈ હતીગુજરાત ATSએ ચાર મહિના પહેલા અલકાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી હતી. આ ચારમાં બે વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાના હતા, જ્યારે બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું હતું. અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલા AQIS(અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતા હતા. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા. (સંપૂર્ણ સમાચાર વાંચો)
ધંધુકા રોડ પર કાર-બાઈકની ટક્કર:ઝીંઝર પાટિયા પાસે અકસ્માતમાં વૃદ્ધ ઈજાગ્રસ્ત
ધંધુકા-તગડી રોડ પર ઝીંઝર પાટિયા નજીક કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત વ્યક્તિની ઓળખ ઝીંઝર, તા. ધંધુકાના રહેવાસી 50 વર્ષીય હેમુભાઈ જગાભાઈ વાસુક્યા તરીકે થઈ છે.તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ભરૂચમાં તાપમાન ઘટ્યું:માવઠાની આગાહી વચ્ચે વહેલી સવારે ઝાકળભર્યું વાતાવરણ
ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારે ઝાકળભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, જેના કારણે લોકોને ઠંડીનો અનુભવ થયો હતો. હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હોવા છતાં, જિલ્લામાં ક્યાંય વરસાદ નોંધાયો નથી. છેલ્લા ત્રણથી ચાર દિવસથી જિલ્લામાં ઝાકળનું પ્રમાણ વધ્યું છે, જેના પરિણામે સવાર અને રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ વધી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ચાર દિવસ દરમિયાન જિલ્લામાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. વર્તમાન વાતાવરણને ધ્યાનમાં રાખીને, ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને કપાસના પાકની વીણી બાકી હોય તો વહેલી તકે પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે.
HNGU પાટણની નવી પહેલ:ગૌ આધારિત ઉદ્યોગોનો સ્પેશિયલ કોર્સ શરૂ થશે; પિલુડા કોલેજ ખાતે તાલીમ અપાશે
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ, આગામી શૈક્ષણિક વર્ષથી ગૌ આધારિત ઉદ્યોગો સંબંધિત સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે. આ કોર્સ યુનિવર્સિટી સંલગ્ન પીલુડા આર્ટસ કોલેજ ખાતે શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોર પોરિયાએ જણાવ્યું કે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ ગૌ વિશ્વ વિદ્યાપીઠમ અને જીસીસીઆઈ સાથે એમઓયુ કર્યા છે. આ એમઓયુનો મુખ્ય ધ્યેય ગાયના દૂધ દ્વારા આર્થિક ઉપાર્જન કરતા લોકો સુધી યુનિવર્સિટી પહોંચી શકે તે છે. આ સંદર્ભે, ગૌ આધારિત ઉદ્યોગોમાં સ્ટાર્ટઅપ અને રોજગારીની તકો વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો ઉદ્દેશ્ય ગોપાલક ભાઈઓ-બહેનો અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ગૌ આધારિત ઉદ્યોગોમાં કયા પ્રકારની કામગીરી થઈ શકે તેની માહિતી ગ્રામ્ય કક્ષાએ પહોંચાડવાનો હતો. આનાથી તેઓ વધુ આર્થિક ઉપાર્જન કરી શકે અને તેમનું જીવનધોરણ સુધારી શકે તેવો યુનિવર્સિટીનો હેતુ છે. યુનિવર્સિટી શિક્ષણ દ્વારા યુવાનોને માત્ર નોકરીવાંછુ બનાવવાને બદલે સ્વરોજગારી માટે સક્ષમ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. કુલપતિએ વધુમાં જણાવ્યું કે, ગૌમાતા અને ગૌપાલન પર અનેક વૈજ્ઞાનિક સંશોધનો થયા છે, જેના આધારે કામધેનુ ચેરની સ્થાપના કરવામાં આવી છે. કામધેનુ ચેર અને યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે નવા શૈક્ષણિક વર્ષથી ગૌ આધારિત વિવિધ કાર્યક્રમો દ્વારા ગ્રામીણ અને છેવાડાના લોકોને મદદરૂપ થવાનું આયોજન છે. આ ઉપરાંત, યુનિવર્સિટી આગામી શૈક્ષણિક વર્ષથી ગુજરાતી ભાષા વિભાગમાં એમ.એ. ગુજરાતીનો અભ્યાસક્રમ યુનિવર્સિટી કક્ષાએ શરૂ કરવા પણ કટિબદ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી વિભાગ માટે કરવામાં આવેલી નાણાકીય ફાળવણી અંતર્ગત નવા અભ્યાસક્રમો શરૂ કરવાની દિશામાં યુનિવર્સિટી પ્રયત્નશીલ છે. યુનિવર્સિટીના વડાલી કેમ્પસ ખાતે એમ.એસ.સી. કેમેસ્ટ્રી, કોમ્પ્યુટર એજ્યુકેશન અને આઈ.ટી.ના અભ્યાસક્રમો પણ નવા શૈક્ષણિક વર્ષથી શરૂ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આણંદ સામરખા ચોકડી પાસે કેમિકલ ટેન્કર પલટ્યું:ઝાયલીન લીક થતા વાહનવ્યવહાર બંધ, તંત્ર એલર્ટ
આણંદની વ્યસ્ત સામરખા ચોકડી નજીક આજે વહેલી સવારે એક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું હતું. આ દુર્ઘટનાને કારણે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને જ્વલનશીલ કેમિકલ લીક થવા લાગ્યું હતું. ટેન્કરમાંથી 'ઝાયલીન' (Xylene) નામનું અત્યંત જ્વલનશીલ અને ઝેરી કેમિકલ લીક થવા માંડ્યું હતું. આ કેમિકલ હવામાં ભળતા આસપાસના લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડવાની ફરિયાદો નોંધાઈ હતી. ઘટનાની જાણ થતાં જ કરમસદ-આણંદ મનપાના ફાયર ફાયટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કેમિકલની જ્વલનશીલતાને ધ્યાનમાં રાખીને, ફાયર ફાઈટરો દ્વારા આગની મોટી દુર્ઘટના ટાળવા માટે કેમિકલ ફોમ અને પાણીનો સતત છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આણંદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સલામતીના ભાગરૂપે તાત્કાલિક પગલાં લીધા હતા. પોલીસે બ્રિજ નીચેનો સર્વિસ રોડ બંને બાજુથી બંધ કરી દીધો છે અને વાહનવ્યવહારને અન્ય માર્ગે વાળવામાં આવ્યો છે. હાલમાં, સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને નિષ્ણાતો દ્વારા કેમિકલ લીકેજ બંધ કરવાના પ્રયાસો ચાલુ છે. સ્થાનિક તંત્રએ નાગરિકોને આ વિસ્તારથી દૂર રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.
ભાઠેના વિસ્તારમાંથી લાખોની કિંમતના ગાંજાના જથ્થા સાથે બે સગા ભાઈઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કેસમાં ખાસ વાત એ છે કે, પકડાયેલ મુખ્ય આરોપી સિલાઇકામની આડમાં આ નશાનો કારોબાર કરતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે બાતમીના આધારે બન્નેને ઝડપી પાડ્યાંઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાઠેના વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન જોગેશ્વરી ડેનિસ બેકરી રોડ પર આવેલ સાંઇનાથ સોસાયટી પાસે જાહેર રોડ પરથી શંકાસ્પદ હાલતમાં ઉભેલા બે ઇસમોને પોલીસે દબોચી લીધા હતા. આરોપીઓ મુળ બિહારના અને સગા ભાઈઓતલાશી દરમિયાન પોલીસને આ શખસો પાસેથી 5 કિલો 001 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે 2,50,050 રૂપિયા થાય છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ સગા ભાઈઓ છે, જેમાં 33 વર્ષીય મોહમદ સદ્દામહુશેન અને 27 વર્ષીય મોહમદ નુરહુશેનનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ મૂળ બિહારના સીતામઢી જિલ્લાના વતની છે અને હાલ ઉધના ભાઠેનાની પુષ્પાનગર સોસાયટીમાં રહે છે. પોલીસે ગાંજા સહિતનો મુદ્દામાલ કબજે કર્યોઆ કેસમાં મુખ્ય આરોપી મોહમદ સદ્દામહુશેનની પ્રોફાઇલ જોતા જાણવા મળ્યું છે કે, તે વ્યવસાયે સિલાઇકામ સાથે સંકળાયેલો છે. દિવસ દરમિયાન સિલાઇકામની આડમાં આ શખસો નશાના વેપારમાં સંડોવાયેલા હોવાની આશંકા છે. મધ્યમવર્ગીય વ્યવસાયની ઓળખ આપીને તેઓ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા. પોલીસે તેમની પાસેથી ગાંજા ઉપરાંત 10,000ની કિંમતના 2 મોબાઈલ ફોન, 20,000ની એક એક્ટિવા મોપેડ અને રોકડ રકમ પણ કબ્જે કરી છે. ગાંજાની ખરીદી અને વેચાણને લઈ તપાસપોલીસે આ સમગ્ર કાર્યવાહીમાં કુલ 2,80,550 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. આ નશીલો પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે આવેલા અંબિકા માતાજીના મંદિરે આજે પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. માતાજીને 56 ભોગનો અન્નકૂટ અર્પણ કરાયો હતો અને મંદિર પરિસરમાં શોભાયાત્રા પણ નીકળી હતી. પોષી પૂનમ, શનિવારના રોજ યોજાયેલા આ મહોત્સવને લઈને મંદિર પરિસરને ફુગ્ગા અને તોરણોથી શણગારવામાં આવ્યું હતું. માતાજીના ગર્ભગૃહને પણ ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું. સવારે 6:30 કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. આરતી બાદ અંબિકા માતાજીને વિવિધ 56 ભોગનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ભક્તોએ માતાજીના કમળ પર સવારીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બપોર સુધી ભક્તો અન્નકૂટના દર્શન કરી શકશે. અંબિકા માતાજી મંદિરના મેનેજર દિલીપસિંહ કુંપાવતે જણાવ્યું હતું કે, મંદિર સવારે 6:30 થી રાત્રે 10 કલાક સુધી ખુલ્લું રહેશે. સાંજે 7 કલાકે આરતી બાદ આરતી મંડળ દ્વારા 51 કિલોની કેક કાપવામાં આવશે. ત્યારબાદ મંદિર પરિસરમાં ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગરમાં ડભોડા અને પ્રાંતિયા નજીક સર્જાયેલા બે ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિના કરુણ મોત નીપજ્યા છે. ડભોડામાં ખેતરેથી પરત ફરી રહેલા આધેડ ખેડૂતનું બુલેટ સ્લિપ થતાં મોત થયું છે, જ્યારે ચિલોડા હાઈવે પર બંધ પડેલા આઈસર પાછળ ટાટા સુપર એસ ઘૂસી જતાં ચાલકે જીવ ગુમાવ્યો છે. આ બંને માર્ગ અકસ્માતો અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખેડૂત સાંજના સમયે ઘરે જઈ રહ્યાં હતાંગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ અકસ્માતના બે ગંભીર કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. દાદુનગર બહુચર ફાર્મ પાસે રહેતા અને ખેતીકામ કરતા 58 વર્ષીય ભલાજી જીવણજી સોલંકી 2 જાન્યુઆરીની સાંજે પોતાના ખેતરેથી પરત ફરી રહ્યા હતા. દરમિયાન તેઓ ડભોડા-દાદુનગરથી પ્રભુપુરા રોડ પર તેઓ પોતાનું રોયલ એનફિલ્ડ બુલેટ લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક રોડ પર કૂતરું આવી ગયું હતું. માથામાં ગંભીર ઈજા થતા મોતઆથી કૂતરાને બચાવવા જતાં ભલાજીએ બુલેટ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં તેમને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતા પરિવારજનો તેમને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના ભાઈ હાલુસિંહ સોલંકીએ આ મામલે ડભોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બીજો અકસ્માત અમદાવાદ-ચિલોડા નેશનલ હાઈવે 48 પર બન્યોજ્યારે બીજી ઘટના અમદાવાદ-ચિલોડા નેશનલ હાઈવે 48 પર બની હતી. બટાકા ભરીને અમરાઈવાડી ખાલી કરી પરત માણસા જઈ રહેલું આઈસર પ્રાંતિયા ઓવરબ્રિજ પાસે પહોંચ્યું, ત્યારે અચાનક ટાયર જામ થઈ જતાં રોડની વચ્ચે જ ખોટવાયું હતું. આથી આઇસરનો ડ્રાઈવર જિલાભાઈ ભરવાડ નીચે ઉતરીને પાછળના વાહનોને સાવચેત કરવા માટે કોઈ વસ્તુ શોધવા ગયો ગયો હતો. તે જ સમયે પાછળથી પૂરઝડપે આવતી ટાટા સુપર એસ (GJ-18-AV-9038) આઈસરના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. વાહનચાલકનું સ્થળે જ મોતઆ ટક્કર એટલી જોરદાર હતી કે ટાટા સુપર એસની કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેના ચાલક ભરતભાઈ વિઠ્ઠલભાઈ પટેલ (રહે. સાદરા, મોતીપુરા)નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે આઈસર ચાલકે ડભોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
વડોદરા મહાનગરપાલિકાની ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા શહેરના વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી સન સિટી સર્કલ તરફના માર્ગ પર નવી ડ્રેનેજ ગ્રેવિટી મેઇન લાઇન નાખવાની હોવાથી રસ્તો બંધ કરવા અંગેની નોટિફિકેશન જારી કરવામાં આવી છે. કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી રસ્તો બંધ રહેશેઆ કામગીરી માટે ઇજારદાર દ્વારા હેવી મશીનરીનો ઉપયોગ, મજૂરો તેમજ કારીગરોની અવરજવર અને કામ માટે જરૂરી સામગ્રીના સંગ્રહને કારણે વિશ્વામિત્રી સ્ટેશનથી સન સિટી સર્કલ તરફ જતા માર્ગનો પ્રમુખ દર્શન સોસાયટી સુધીનો ડામરવાળો કેરેજવે ભાગ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનો માટે બંધ રાખવામાં આવશે. લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ આ કામગીરી દરમિયાન અહીંયા જરૂરિયાત મુજબ વાહન-વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવશે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ વૈકલ્પિક માર્ગોનો સાવચેતી પૂર્વક ઉપયોગ કરે અને કામગીરી અત્યંત ઊંડાણવાળી હોવાથી જાહેર જનતા બંધ કરાયેલા માર્ગના પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ ન કરે તેમજ યોગ્ય સુરક્ષિત અંતર જાળવી રાખે તે જરૂરી છે.
ટ્રમ્પની ધમકી બાદ ટેન્શન વધ્યું, ઈરાને કહ્યું - 'અમેરિકાના સૈન્ય ઠેકાણા અમારા ટારગેટ પર..'
Iran and USA News : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની 'લોક્ડ એન્ડ લોડેડ' (તૈયાર અને સજ્જ) ટિપ્પણી પર ઈરાને આકરી પ્રતિક્રિયા આપી છે. ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો અમેરિકા દેશની આંતરિક બાબતોમાં દખલગીરી કરશે, તો આ ક્ષેત્રમાં હાજર તમામ અમેરિકન સૈન્ય મથકો અને સુરક્ષા દળો તેમના નિશાના પર હશે. ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગાલિબાફે ટ્રમ્પના નિવેદનનો ઉલ્લેખ કરતા આ વાત કહી છે. શું હતો વિવાદ? અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું હતું કે જો ઈરાન સરકાર શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર જીવલેણ બળપ્રયોગ કરશે તો અમેરિકા હસ્તક્ષેપ કરશે.

28 C