આગામી ચોમાસા પહેલાં જ વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ થાય તે માટે રાજ્યભરમાં જળસંચયના કામોનું આગોતરું આયોજન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરોને આહ્વાન કર્યું છે. રાજ્યમાં ચાલી રહેલા ‘જળસંચય જન ભાગીદારી 2.0’ અભિયાનની સર્વગ્રાહી સમીક્ષા માટે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વરસાદી પાણીના સંચય-સંગ્રહથી જળ સુરક્ષા મજબૂત બને અને ગુજરાત જળસંચય ક્ષેત્રે પોતાની અગ્રેસરતા જાળવી રાખે તે માટે સૌએ મિશન મોડમાં કામ કરવું જરૂરી છે. આ વીડિયો કોન્ફરન્સમાં કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી. આર. પાટીલ દિલ્હીથી જોડાયા હતા, જ્યારે ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ એમ. કે. દાસ સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા, કચ્છ અને રાજકોટ જિલ્લાના કલેક્ટરો સહિત અન્ય જિલ્લાઓએ પોતાના વિસ્તારમાં જળસંચય જન ભાગીદારી 2.0ની પ્રગતિ અને આગામી આયોજન અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા. 'ગુજરાતને વધુમાં વધુ લાભ મળે તે આપણો મુખ્ય ફોકસ': CMમુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપના માર્ગદર્શન હેઠળ ‘કેચ ધ રેઈન’ જેવી રાષ્ટ્રવ્યાપી પહેલનો ગુજરાતને વધુમાં વધુ લાભ મળે તે આપણો મુખ્ય ફોકસ હોવો જોઈએ. તેમણે જળસંચયના કામોને લોકહિતના કાર્ય ગણાવી જણાવ્યું કે, આવા કામો કરવાથી ફરજની સંતોષ સાથે આત્મસંતોષ પણ મળે છે. રાજ્યના જિલ્લાઓમાં જળસંચયના કામોમાં હેલ્ધી કોમ્પિટિશન થાય અને જે જિલ્લાઓમાં કામગીરી ઓછી છે ત્યાં વધુ ગતિ મળે તેવું વાતાવરણ ઊભું કરવાની પણ મુખ્યમંત્રીએ હિમાયત કરી. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે દરેક ધારાસભ્યને જળસંચય-જળસંગ્રહ માટે ફાળવેલી રૂ. 50 લાખની ગ્રાન્ટનો પણ અસરકારક ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. સાથે જ કેન્દ્ર સરકાર તરફથી ફાળવાયેલા રૂ. 553 કરોડની ગ્રાન્ટનો સંપૂર્ણ ઉપયોગ માર્ચ-2026 પહેલાં થાય તે માટે કામો ઝડપથી હાથ ધરવાની તાકીદ કરી. જળસંચય ક્ષમતામાં સતત વધારો કરવામાં આવે: સી.આર. પાટીલકેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું કે, જળસંચય અને જળસંગ્રહ ક્ષેત્રે ગુજરાતે કરેલી કામગીરી દેશ માટે મોડેલ બની છે. જૂના બોર રિચાર્જ માટે 90 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા મોટા ફાયદા થયા હોવાનું તેમણે કહ્યું. ઉપરાંત, જળસંચયના કામોમાં NGOsને વધુ જોડવા માટે યાદી બનાવી તેમને પ્રોત્સાહિત કરવા પર ભાર મૂક્યો. તેમણે વધુમાં જણાવ્યું કે, વિકસિત ભારત ગેરેન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) હેઠળ મળનારા ફંડમાંથી 40 ટકા રકમ જળસંચય-જળસંગ્રહ માટે ઉપયોગમાં લઈ શકાય તેવી ઉદાર જોગવાઈ કરવામાં આવી છે. સાયન્ટિફિક પદ્ધતિથી વોટર સ્ટ્રક્ચરો બનાવીને જળસંચય ક્ષમતામાં સતત વધારો કરવામાં આવે તો વડાપ્રધાનનો જળ સુરક્ષા અને જળ આત્મનિર્ભરતાનો સંકલ્પ સાકાર કરી શકાય તેમ તેમણે ઉમેર્યું. જળસંચય જન ભાગીદારી 2.0 અભિયાન અંતર્ગત દેશમાં 31 મે 2026 સુધીમાં એક કરોડથી વધુ જળસંગ્રાહક સ્ટ્રક્ચરો બાંધવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેમાં ગુજરાતે આગામી ચોમાસા પહેલાં મહત્તમ કામો પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. અગાઉના જળસંચય જન ભાગીદારી 1 અભિયાન હેઠળ ગુજરાતમાં કુલ 1,33,522 કામો પૂર્ણ થયા છે, જેના કારણે ભૂગર્ભ જળ રીચાર્જમાં નોંધપાત્ર લાભ થયો હોવાનું પણ બેઠકમાં નોંધાયું હતું. તમામ જિલ્લા કલેક્ટરોને મિશન મોડમાં કાર્યરત થવા સૂચનામુખ્ય સચિવ એમ. કે. દાસે તમામ જિલ્લા કલેક્ટરોને જળસંચય જન ભાગીદારી 2.0ની સફળતા માટે મિશન મોડમાં કાર્યરત થવાની સૂચના આપી હતી. બેઠકમાં પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દમણ કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન પર નવા પાયલટોની તાલીમ શરૂ:‘સર્વ ધર્મ પૂજા’ સાથે તાલીમ કાર્યક્રમનો પ્રારંભ
દમણ કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન ખાતે નવા પાયલટો માટે વિવિધ ફ્લાઈંગ તાલીમ કોર્સનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે ‘સર્વ ધર્મ પૂજા’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલીમાર્થી પાયલટો અને એરક્રુએ સુરક્ષિત તથા સફળ તાલીમ માટે આશીર્વાદ મેળવ્યા હતા. આ તાલીમ કાર્યક્રમમાં દેશની વિવિધ પ્રતિષ્ઠિત ફ્લાઈંગ સંસ્થાઓમાંથી કુલ 16 ટ્રેની પાયલટો ભાગ લઈ રહ્યા છે. તેમાં AFA ડુંડીગલમાંથી 3, IGRUA ફુરસતગંજમાંથી 8 અને BFTS (બેઝિક ફ્લાઈંગ ટ્રેનિંગ સ્કૂલ)માંથી 5 તાલીમાર્થીઓનો સમાવેશ થાય છે. તાલીમાર્થીઓ માટે ડોર્નિયર વિમાન અને ચેતક હેલિકોપ્ટરના ઓપરેશનલ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. મુખ્યત્વે ત્રણ પ્રોફેશનલ કોર્સ યોજાશે, જેમાં DOFT (ડોર્નિયર ઓપરેશન ફ્લાઈંગ ટ્રેનિંગ), DCOFT (ડોર્નિયર કન્વર્ઝન અને ઓપરેશનલ ફ્લાઈંગ ટ્રેનિંગ) તેમજ COCC (ચેતક ઓપરેશનલ કન્વર્ઝન કોર્સ)નો સમાવેશ થાય છે. આ કોર્સો દ્વારા તાલીમાર્થીઓને આધુનિક ઉડ્ડયન તકનીક, ઓપરેશનલ પ્રક્રિયાઓ અને સલામતી ધોરણોની વ્યાપક તાલીમ આપવામાં આવશે. સૈન્ય ઉડ્ડયન ક્ષેત્રે ‘સર્વ ધર્મ પૂજા’ વર્ષોથી ચાલી આવતી એક પવિત્ર પરંપરા છે. આ પ્રસંગે તમામ ધર્મના અધિકારીઓ, ટ્રેનર્સ અને સ્ટાફ એકસાથે પ્રાર્થનામાં જોડાઈ ભારતીય સશસ્ત્ર દળોની એકતા, શિસ્ત અને નૈતિક મૂલ્યોનું દર્શન કરાવે છે. આ કાર્યક્રમ દ્વારા ભાવિ એવિયેટર્સમાં પરસ્પર સન્માન, સમર્પણ અને રાષ્ટ્રસેવાની ભાવના વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. અધિકારીઓએ તાલીમાર્થી પાયલટોના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આજથી એકાદ વર્ષ પૂર્વે સામાન્ય બાબતને લઈને નવયુવાન પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા સામે આવેલ ઇન્દિનગર વિસ્તારમાં સામાન્ય બાબતને લઈને એક વર્ષ પૂર્વે પ્રકાશ ઉર્ફે પકાએ કિશનને છરીના ઘા ઝીંકી દેતા યુવાને સારવાર દરમિયાન દમ તોડ્યો હતો આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી, આ કેસ ભાવનગર એડિશનલ સેશન કોર્ટમાં ચાલતા કોર્ટે હત્યારા ને દંડ તથા આજીવન કેદની સજા ફટકારી હતી, આ બનાવ અંગે મળતી માહિતી મુજબ શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં આજથી લગભગ એક વર્ષ પહેલા એક યુવાન પર સામાન્ય બાબતને લઈને આ જ વિસ્તારમાં રહેતા શખ્સે તિક્ષણ હથિયાર વડે હુમલો કરતા યુવાને સારવાર દરમિયાન અંતિમશ્વાસ લીધો હતો જેમાં બનાવ એવા પ્રકારે બનવા પામ્યો હતો કે ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા હીરાભાઈ મકવાણા નો 18 વર્ષીય પુત્ર કિશન એ આજ વિસ્તારમાં રહેતા પ્રકાશ ઉર્ફે પકો કાનજી બોરીચા ને સામાન્ય બાબતે ઠપકો આપ્યો હતો, આ વાતની પ્રકાશે દાઝ રાખી કિશન પર હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી, આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત કિશનને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું અને બનાવો હત્યામાં પરિણમ્યો હતો જે અંગે મૃતકના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદ આધારે પોલીસે હત્યારા પ્રકાશ ઉર્ફે પકો કાનજી બોરીચાને ઝડપી લીધો હતો, આ કેસ ભાવનગર એડિશનલ સેશન કોર્ટમાં ચાલતા જજ એચ.એસ મૂળિયાએ સરકારી વકીલની તર્કબદ્ધ દલીલો દસ્તાવેજી પુરાવા લેખિત મૌખિક જુબાની અને સમગ્ર કેસને ગંભીરતાથી ધ્યાનમાં લઇ હત્યારા પ્રકાશ ઉર્ફે પકાને દંડ તથા આજીવન કેદની સજા ફટકારી હતી.
જામજોધપુરમાં આયુષ મેળા યોજાયો:2500થી વધુ નાગરિકોએ આયુર્વેદિક અને હોમિયોપેથી સારવારનો લાભ લીધો
જામનગરના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તેમજ નિયામક આયુષની કચેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગર દ્વારા જામજોધપુરના કડવા પાટીદાર જ્ઞાતિ સેવા સમાજ ખાતે ભવ્ય ‘આયુષ મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય હેતુ પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ જેવી કે આયુર્વેદ અને હોમિયોપેથીનો વ્યાપ વધારવાનો અને લોકોને કુદરતી સારવાર દ્વારા રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા પ્રોત્સાહિત કરવાનો હતો. આ મેળામાં નિઃશુલ્ક નિદાન સારવાર ઉપરાંત પ્રકૃતિ અને નાડી પરીક્ષણ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. બાળકો માટે સુવર્ણ પ્રાશન, પંચકર્મ અને અગ્નિકર્મ જેવી વિશિષ્ટ સેવાઓ પણ ઉપલબ્ધ હતી. આરોગ્ય વિભાગ દ્વારા બ્લડ પ્રેશર અને સુગરની તપાસ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, રસોડામાં વપરાતી ઘરગથ્થુ ઔષધિઓનું પ્રદર્શન, આયુર્વેદિક ચાર્ટ પ્રદર્શન અને પર્યાવરણના જતન માટે નિઃશુલ્ક ઔષધ રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મેળા દરમિયાન કુલ 610 દર્દીઓએ સારવાર મેળવી હતી, જ્યારે 2500 થી વધુ લોકોએ મુલાકાત લઈ આરોગ્યલક્ષી માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગલાભાઈ ગરસર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ કણજારીયા, તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન રાઠોડ, નગરપાલિકા પ્રમુખ કંચનબેન ગોસ્વામી, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, ભાજપ શહેર પ્રમુખ રવિભાઈ શિહોરા, તાલુકા પ્રમુખ ભાગ્યેશભાઈ માણસુરીયા તથા અન્ય અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર આયુષ મેળાને સફળ બનાવવા માટે જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય હિરેન ઠક્કરના નેતૃત્વમાં વૈદ્ય ફોરમ પરમાર, ભાવેશ બેરા, અંકિતા સોલંકી, જિજ્ઞેશ સોનગરા સહિતના તબીબો અને ફાર્માસિસ્ટની ટીમે સઘન જહેમત ઉઠાવી હતી.
મહેસાણા શહેરની ઐતિહાસિક ધરોહર સમાન તોરણવાળી માતાના ચોકને હેરીટેજ લુક આપવાના પ્રોજેક્ટની કામગીરીમાં વિલંબ થતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. શહેરના પૂર્વ વિપક્ષ નેતા કમલેશ સુતરિયાએ આ બાબતે મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી કોઈ પણ પ્રકારના રાજકીય દબાણને વશ થયા વિના આ પ્રોજેક્ટની કામગીરી તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે. શહેરની અસ્મિતા સાથે જાડોયેલો છે તોરણવાળી માતાનો ચોકકમલેશ સુતરિયાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, તોરણવાળી માતાનો ચોક અને તેની આસપાસનો વિસ્તાર મહેસાણાની સ્થાપના સાથે જોડાયેલી ઐતિહાસિક ધરોહર છે. અહીં જ તોરણ બાંધીને માતાજીની સ્થાપના કરવામાં આવી હતી અને શહેર વસાવવામાં આવ્યું હતું. આ ચોક મહેસાણા શહેરનું 'હાર્ટ' ગણાય છે, જેની સાથે શહેરની અસ્મિતા જોડાયેલી છે. 1 જાન્યુઆરીએ મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતુંનોંધનીય છે કે, આ વિસ્તારને હેરીટેજ બનાવવા માટેના મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ગત 1 જાન્યુઆરી 2026 ના રોજ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ માટે એજન્સીને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો હતો. જોકે પૂર્વ વિપક્ષ નેતાનો આક્ષેપ છે કે પ્રોજેક્ટ શરૂ થયા બાદ કોઈ અજ્ઞાત રાજકીય દબાણના કારણે હાલ આ કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, જો આ હેરીટેજ પ્રોજેક્ટ યોગ્ય કાળજી અને ઉચ્ચ ગુણવત્તાવાળા મટીરીયલ સાથે પૂર્ણ કરવામાં આવે તો મહેસાણા શહેરની શોભામાં અનેરી વૃદ્ધિ થશે અને સમગ્ર રાજ્યમાં શહેરની એક આગવી ઓળખ ઉભી થશે. જનહિત અને શહેરના વિકાસને ધ્યાને રાખી વિલંબમાં પડેલી આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા તંત્ર સમક્ષ માંગણી કરવામાં આવી છે.
જામનગરની વિશાલ હોટલના એકાઉન્ટન્ટ પર જીવલેણ હુમલાના ચકચારી કેસમાં ભાનુશાળી સમાજના પ્રમુખ કિરીટભાઈ ભદ્રા સહિત અનિલ ભદ્રા અને અર્જુન ભદ્રાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જોકે કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી તમામને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં અગાઉ પણ નવ આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. આ ઘટના થોડા મહિનાઓ પહેલા બની હતી. વિશાલ હોટલમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા 48 વર્ષીય અમિત ચંદુભાઈ ચુડાસમા પર લોખંડના પાઈપ, લાકડાના ધોકા અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે મિલન હંજડા, અનિલ ભદ્રા, ભાનુશાળી સમાજના પ્રમુખ કિરીટભાઈ ભદ્રા અને અન્ય અજાણ્યા સહિત કુલ 12 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ તપાસ મુજબ, આ હુમલો હોટલના ભાગીદારો મિતેશભાઈ કનખરા અને કિરીટભાઈ ભદ્રા વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે થયો હતો. હુમલા પહેલા કર્મચારી અમિત ચુડાસમાને ફોન કરીને નોકરી પર ન આવવાની ધમકી આપવામાં આવી હતી. જ્યારે તેમણે કારણ પૂછ્યું, ત્યારે તેમને સત્યમ કોલોની અન્ડરબ્રિજ પાસે બોલાવીને હુમલો કરવામાં આવ્યો હતો. આ ગુનામાં નાસતા-ફરતા ભાનુશાળી સમાજના પ્રમુખ કિરીટભાઈ ભદ્રા, અનિલ વિનોદભાઈ ભદ્રા અને અર્જુન દીપકભાઈ ભદ્રાની ગઈકાલે મોડી સાંજે ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જે રદ થતાં તેમની ધરપકડનો માર્ગ મોકળો બન્યો હતો. ઉલ્લેખનીય છે કે, હુમલાખોરોએ કિરીટભાઈ ભદ્રાના કહેવાથી હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું, જેના આધારે હોટલ કર્મચારીએ ફરિયાદમાં તેમનું નામ પણ લખાવ્યું હતું.
ગાંધીનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે બાકી વેરા અને ભાડા વસૂલાત માટે આક્રમક વલણ અપનાવ્યું છે. લાંબા સમયથી પાલિકાના લેણાં દબાવીને બેઠેલા બાકીદારો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે એસટી ડેપોની પાછળ સેક્ટર-11માં આવેલી માઈક્રોશોપિંગના 43 વેપારીઓ ને કુલ રૂ. 50.07 લાખના બાકી ભાડા અંગે અંતિમ નોટિસ ફટકારવામાં આવતા વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. 43 દુકાનદારોનું 50 લાખથી વધુનું ભાડું વસૂલવાનું બાકીગાંધીનગર શહેરના હાર્દ સમાન સેક્ટર-11 સ્થિત એસટી ડેપોની પાછળ માઇક્રો શોપીંગના એકમો આવેલા છે. આ એકમો મૂળભૂત રીતે સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરી ભાડાપટ્ટે ફાળવવામાં આવ્યા હતા. જોકે આ મિલકતોનું સંચાલન અને ભાડું વસૂલવાની સત્તા ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તક છે. છેલ્લા ઘણા સમયથી અહીંના કેટલાક વેપારીઓ ભાડું ભરવામાં ઘોર બેદરકારી અને અનિયમિતતા દાખવતા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. એસ્ટેટ વિભાગના સત્તાવાર આંકડા મુજબ આ 43 શોપિંગ એકમો પાસે પાલિકાનું કુલ રૂા. 50,07,256 જેટલું તોતિંગ ભાડું બાકી નીકળે છે. વારંવારની મૌખિક રજૂઆતો અને સૂચનાઓ છતાં બાકીદારો રકમ જમા ન કરાવતા આખરે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે. 3 દિવસમાં ચૂકવણી નહીં કરે તો મિલકત સીલ કરાશેમહાનગરપાલિકાએ આ વખતે કોઈ પણ પ્રકારની ઢીલ મૂકવાના મૂડમાં નથી. જારી કરાયેલી નોટિસમાં સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરવામાં આવી છે કે,બાકી નીકળતી તમામ રકમ આગામી ત્રણ કામકાજના દિવસોમાં ફરજિયાત જમા કરાવવી પડશે. જો નિયત સમયમર્યાદામાં નાણાં જમા નહીં થાય તો એસ્ટેટ વિભાગ દ્વારા મિલકત સીલ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. ત્યારબાદ પણ રકમ ન ભરાય તો કાયદેસરની અન્ય કડક કાર્યવાહી અને ભાડાપટ્ટો રદ કરવા સુધીના પગલાં લેવાશે. ગાંધીનગર મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, માત્ર સેક્ટર-11 જ નહીં પરંતુ શહેરના અન્ય વિસ્તારોમાં પણ જે સરકારી મિલકતો ભાડાપટ્ટે અપાયેલી છે અને જ્યાં મોટું ભાડું બાકી છે ત્યાં પણ આગામી દિવસોમાં આ જ પ્રકારે નોટિસો ફટકારીને કડક વસૂલાત કરવામાં આવશે. જોકે પાલિકાની આ કડક કાર્યવાહીથી અન્ય ડિફોલ્ટરોમાં પણ દોડધામ મચી ગઈ છે.
વર્ષ 2013માં નડિયાદ સેશન્સ કોર્ટમાં આરોપી કનુ પરમાર સામે 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં IPC 376 ની કલમ અંતર્ગત કેસ દાખલ થયો હતો. જેમાં કોર્ટે ચુકાદો આપતા આરોપીને 7 વર્ષ કેદની સજા ફટકારી હતી. આ સજાને વધારવા માટે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી, જેને હાઇકોર્ટે નકારી નાખી છે. ખેતરમાં બાળકી પર દુષ્કર્મ આચર્યું હતુંકેસની વિગતે જોતા ફરિયાદીની પિતરાઈ બહેન તેના પડોશમાં રહેતા કાકાને ત્યાં રહેવા આવી હતી. સાથે જ ફરિયાદીની 5 વર્ષીય ભાણી પણ હતી. ફરિયાદી જ્યારે સાંજના સમયે રામપુરા લાટ તરફ જઈ રહ્યા હતા. ત્યારે તેમને બાળકના રડવાનો અવાજ ખેતરમાંથી આવતા સંભળાયો હતો. જ્યારે તેઓ ખેતર તરફ ગયા ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને ચોકી ગયા હતા. ખેતરમાં એક બાળકી જમીન ઉપર પડી હતી અને આરોપી તેની બાજુમાં પોતાના પેન્ટની ચેઇન ફિટ કરી રહ્યો હતો. આરોપી ગામમાં જ રહેતો હતો. જ્યારે છોકરી તેની સગામાં ભાણી થતી હતી. આ જ સમયે ગામની બે મહિલાઓ રોડ ઉપર સામે ચાલીને આવતી હતી. જેથી ફરિયાદીએ બાળકી મહિલાઓને સોંપીને આરોપીને પકડવા દોડ્યો હતો, પરંતુ આરોપી ભાગી ગયો હતો. મહિલાઓ સાથે બાળકીને તેના ઘરે પહોંચાડવામાં આવી હતી. જ્યાં ઘરની મહિલાઓએ ચેક કરતા બાળકીની ચડ્ડી લોહી લુહાણ હાલતમાં હતી. તેના ગુપ્ત ભાગેથી લોહી નીકળતુ હતું. આથી 108 ને બોલાવી બાળકીને કઠલાલા ખાતે આવેલ સરકારી દવાખાને લઈ જવામાં આવી હતી. તેમજ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ કરતા, પોલીસે આરોપીની અટકાયત કરી હતી. નડિયાદ કોર્ટે ફટકારેલી સજા વધારવા રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અપીલ કરી હતીનડિયાદની કોર્ટે 15 સાહેદ અને 27 પુરાવા તપાસ્યા હતા. જેમાં આરોપીનું કહેવું હતું કે પૈસાની લેતી દેતીમાં તેની સામે ખોટી ફરિયાદ કરવામાં આવી છે. બાળકીની જુબાની લેવાઈ નથી. જ્યારે ફરિયાદી પક્ષનું કહેવું હતું કે આરોપી સોપારી આપવાની લાલચ આપીને બાળકીને તેની દાદી પાસેથી મામા કહીને લઈ ગયો હતો. હાઇકોર્ટમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે આરોપીને 5 વર્ષની બાળકી સાથે હિન કૃત્ય કર્યું છે. સેશન્સ જજે સજા સંભળાવતા ઘટનાની ગંભીરતાને ધ્યાને લીધી નથી. આરોપીને લઘુત્તમ સજા કરવામાં આવી છે, તેને મહતમ સજા થવી જોઈએ. જો કે હાઇકોર્ટે સરકારની અપીલ ગ્રાહ્ય ન રાખતા સેશન્સ કોર્ટના ચુકાદામાં હસ્તક્ષેપ ના કરતા અરજી ફગાવી દીધી હતી.
સાબરકાંઠા પોલીસે 83 નાસતા ફરતા આરોપીઓને ઝડપ્યા:એક મહિનાની ખાસ ડ્રાઈવમાં જેલ હવાલે કર્યા
સાબરકાંઠા પોલીસે છેલ્લા એક મહિનામાં નાસતા ફરતા 83 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. જિલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહીલના આદેશ બાદ LCB અને SOG ટીમો દ્વારા આ ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. LCB ના PI ડી.સી.સાકરીયા અને SOG PI ડી.સી.પરમારે જણાવ્યું કે, જિલ્લામાં પોલીસ પકડથી દૂર રહેલા આરોપીઓને શોધી કાઢવા માટે જિલ્લા પોલીસવડાએ LCB ને સૂચના આપી હતી. આ સૂચના બાદ LCB અને SOG ટીમોએ પુરાવા અને ઓળખના આધારે તપાસ તેજ કરી હતી. આ ડ્રાઈવ દરમિયાન ઝડપાયેલા 83 આરોપીઓમાં, 0 થી 1 વર્ષના સમયગાળાથી નાસતા ફરતા 46 આરોપીઓનો સમાવેશ થાય છે. જ્યારે 1 થી 5 વર્ષથી ફરાર 15, 5 થી 10 વર્ષથી ફરાર 2 અને 10 વર્ષથી વધુ સમયથી પોલીસ પકડથી દૂર રહેલા 20 આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા તમામ 83 આરોપીઓ વિરુદ્ધ સંબંધિત પોલીસ સ્ટેશનોમાં કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. LCB ના PI ડી.સી.સાકરીયા, PSI કે.સી બ્રહ્મભટ્ટ, કે.યુ.ચૌધરી સહિત LCB અને SOG ના સ્ટાફે આ કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. SOG ટીમે આમાંથી 27 આરોપીઓને ઝડપવામાં સફળતા મેળવી હતી.
ગુજરાત હાઇકોર્ટમાં દાહોદથી 14 વર્ષ અને 6 મહિનાની સગીરાના 8 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી આવી હતી. જેમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી સામે ધાનપુર પોલીસ મથકે દુષ્કર્મ અને પોક્સો એક્ટની ધારાઓ અંતર્ગત ફરિયાદ નોધાઇ હતી. જો કે કોર્ટ કાર્યવાહીમાં અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે કોર્ટમાં કાર્યવાહી પેન્ડિંગ છે, ત્યારે ફરીથી સગીરાનું અપહરણ થઈ ગયું હતું. જે સંદર્ભે દાહોદના ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. હેબિયસ કોર્પસ અરજી બાદ સગીરા મળી આવી હતીસગીરાને સદેહે હાજર કરવા હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં સગીરા મળી આવી હતી. તેને માતાપિતા સાથે રહેવા ઈચ્છા દર્શાવી હતી. તેના ગર્ભપાત માટે હાઇકોર્ટમાં ફરી અરજી કરાતા હાઇકોર્ટે દાહોદની સિવિલ હોસ્પિટલને સગીરાનો ફરી મેડિકલ ટેસ્ટ કરવા આદેશ આપ્યા હતા. જેનો રીપોર્ટ આજે કોર્ટ સમક્ષ મૂકાયો હતો. સગીરાની તમામ સુરક્ષાની વ્યવસ્થા કરવા આદેશ કરાયોહાઇકોર્ટે નોધ્યું હતું કે સગીરા દુષ્કર્મ પીડિતા છે. તેને 15 સપ્તાહનો ગર્ભ છે. સગીરા સાથે વાત કરીને દાહોદની પ્રાઇવેટ હોસ્પિટલ તેના ગર્ભપાત માટે નિર્ણય લે. તેના માટે તમામ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે. જો બાળક જેવું જન્મે અને સગીરા તેને રાખવા માંગતી હોય તો જુવેનાઇલ જસ્ટીસ એક્ટ અંતર્ગત આગળ કાર્યવાહી કરવામાં આવે. તેની ગર્ભની પેશીના DNA તપાસ અધિકારીને સોંપવામાં આવે. આ સાથે જ કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સગીરા જ્યારે પહેલી વખત ભાગી ત્યારે તેની યોગ્ય કાળજી રાખવાની બાહેધરી તેના વાલી દ્વારા આપવામાં આવી હતી. વળી પ્રોબેશન ઓફિસર દ્વારા તેની નિયમિત મુલાકાત પણ લેવાની થતી હતી. અગાઉ સગીરા ગર્ભ રાખવા માંગતી ના હોવાથી ગર્ભપાત માટે કોર્ટની પરવાનગી માંગતી અરજી દાખલ કરી હતી. જેથી હાઇકોર્ટે સગીરાની મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા.
સુરતના કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51 માં મુકવામાં આવેલા અન્યાયી રિઝર્વેશનના વિરોધમાં આજે પ્રચંડ જનઆંદોલન જોવા મળ્યું હતું. છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી અહીં સ્થાયી થયેલા પરિવારોને તેમના ઘર ખાલી કરવા માટે ડિમોલિશનની નોટિસો આપવામાં આવતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રહેણાંક મકાનો, ખુલ્લા પ્લોટ અને સામાજિક વાડીઓ પર રાતોરાત રિઝર્વેશન મૂકી દેવાતા આશરે 1 લાખ લોકોને તેની સીધી અસર થઈ રહી છે. પોતાની જિંદગીભરની મૂડી સમાન ઘર ગુમાવવાની ભીતિએ લોકોએ “રિઝર્વેશન હટાવો, ઘર બચાવો”ના નારા સાથે તંત્ર સામે બાંયો ચઢાવી છે. 70થી વધુ સોસાયટીઓના અનેક પરિવારો બેઘર થવાની અણીએઆ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે કતારગામ દરવાજાથી સુરત મ્યુનિસિપલ કમિશનરની કચેરી સુધી એક વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો અને વૃદ્ધો હાથમાં પ્લેકાર્ડ અને બેનરો સાથે જોડાયા હતા. લોકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં 70થી વધુ સોસાયટીઓ રિઝર્વેશન હેઠળ આવી ગઈ છે, જેના કારણે અનેક પરિવારો બેઘર થવાની અણી પર છે. રેલી દરમિયાન લોકોએ તંત્રની જોહુકમી સામે સૂત્રોચ્ચાર કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. કલેકટર-મેયરને આવેદનપત્ર આપી રિઝર્વેશન રદ કરવા માગટીપી 49, 50, 51 પીડિત પરિવાર સમિતિના નેજા હેઠળ નીકળેલી આ રેલીમાં મ્યુનિસિપલ કમિશનર અને મેયરને આવેદનપત્ર આપી રિઝર્વેશન તાત્કાલિક રદ કરવાની માગ કરવામાં આવી છે. પીડિતોનું કહેવું છે કે, 2022 પહેલાના કોઈપણ ડેવલપમેન્ટ પ્લાનમાં આ રિઝર્વેશનનો ઉલ્લેખ નહોતો, પરંતુ હવે રાતોરાત આ નિર્ણય લાદી દેવામાં આવ્યો છે. અગાઉ ધારાસભ્યથી લઈને વડાપ્રધાન સુધી રજૂઆતો કરવા છતાં યોગ્ય ન્યાય ન મળતા, હવે લોકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે અને જો રિઝર્વેશન દૂર નહીં થાય તો આગામી સમયમાં લડત વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે. '1 લાખ લોકોને અસર કરતો રિઝર્વેશનનો ગંભીર પ્રશ્ન'સ્થાનિક ઉમેશભાઈ ઝડફિયાએ જણાવ્યું હતું કે, ટીપી 49, 50, 51 પીડિત પરિવાર સમિતિ અમે આજ રોજ આ કતારગામના 1 લાખ લોકોને અસર કરતો રિઝર્વેશનનો ખૂબ જ ગંભીર પ્રશ્ન છે, તેની અંદર સોસાયટીની વાડી, ખુલ્લા પ્લોટ, મકાનો કે મકાનો ઉપર સરકારે રિઝર્વેશન મૂક્યું છે. 'અમને અમારો હક આપો, અમને ન્યાય આપો'આ મિલકત ઉપર પહેલા ક્યારેય, 2022 ના ક્યારેય પણ કોઈ ડેવલપમેન્ટ પ્લાન કે ડ્રાફ્ટ પ્લાનમાં રિઝર્વેશન હતું નહીં. રાતોરાત સરકારે રિઝર્વેશન મૂક્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી અમે લડત લડી રહ્યા છીએ. આ બીજી વાર અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. અગાઉ પણ અમે ધારાસભ્ય, કોર્પોરેટરો, સાંસદને તેમજ પ્રદેશ પ્રમુખ, તેમજ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સુધી અમે આ લેખિતમાં રજૂઆત કરી છે કે અમને અમારો હક આપો, અમને ન્યાય આપો. આ બાબતે રિઝર્વેશન દૂર કરો એ જ અમારી મુખ્ય માગ છે. 'જિંદગીભરના એકને એક મકાન પર સરકારે રિઝર્વેશન મૂક્યું'તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જો રિઝર્વેશન અમલમાં આવશે, તો લોકોના ઘર પાયા... ઘર વિનાના લોકો થઈ જશે. આમાં કેટલાક નાના અને મધ્યમ વર્ગના લોકો છે કે જિંદગીભરનું એકને એક મકાન હોય, તેની ઉપર સરકારે રિઝર્વેશન મૂક્યું છે. લોકો રોડ ઉપર આવી જશે. લોકોએ અત્યારે આટલી મોંઘવારીની અંદર એક મકાન બનાવવા માટે પોતાનો આખો પરસેવો જિંદગીભરનો અંદર રેડી દીધો હોય ત્યારે એક મકાન બન્યું હોય, ત્યારે આ મકાન ઉપરથી રિઝર્વેશન રદ થાય એ જ લોકોની મુખ્ય માગ છે. 'ચાલુ કારખાનાઓમાં ડિમોલિશન કરી રહ્યા છે'સ્થાનિક શાંતિભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું કે, કતારગામ અને પાંડોળ (TP 24) જેવી વિવિધ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં વર્ષો જૂના બાંધકામો પર રિઝર્વેશન મૂકવામાં આવ્યું છે. પાંડોળમાં જે જગ્યાએ રિઝર્વેશન મુકાયું છે, ત્યાં લોકો છેલ્લા 47 વર્ષથી પોતાના કારખાના ચલાવી રહ્યા છે. નોર્થ ઝોનના અધિકારીઓ પોતાની સત્તાનો ઉપયોગ કરીને, ચાલુ કારખાનાઓમાં ડિમોલિશન કરી રહ્યા છે, જે અત્યંત ગંભીર બાબત છે. 'લોકોને અગાઉથી જ રિઝર્વેશનની જાણ કરવી જોઈએ'વહીવટી તંત્રની મુખ્ય ભૂલ એ છે કે, જ્યારે લોકો રહેવા આવી જાય છે, ત્યાર બાદ TP સ્કીમ બનાવવામાં આવે છે. ખરેખર તો TP સ્કીમ વહેલી પાસ કરીને લોકોને અગાઉથી જ રિઝર્વેશનની જાણ કરવી જોઈએ.
બરોડા હાઇસ્કુલ ONGC માં વાર્ષિક રમતોત્સવ:પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
બરોડા હાઇસ્કુલ ONGC ના પ્રાથમિક વિભાગનો વાર્ષિક રમતોત્સવ આજે યોજાયો હતો. આ રમતોત્સવમાં ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મુખ્ય અતિથિ તરીકે સમીર ગાયકવાડ અને શાળાના ટ્રસ્ટી જગદીશ શુક્લા ઉપસ્થિત રહ્યા હતા. રમતોત્સવનો પ્રારંભ શાળાના તમામ હાઉસના વિદ્યાર્થીઓની માર્ચપાસ્ટ સાથે થયો હતો. આ પ્રસંગે ગત વર્ષે રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ રમતોમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ માટે 100 મીટર દોડ, ફ્રોગ જમ્પ અને બુક બેલેન્સ જેવી વ્યક્તિગત રમતોનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત, ખો-ખો, કબડ્ડી, વોલીબોલ અને ક્રિકેટ જેવી ટીમ રમતો પણ યોજાઈ હતી. રમતોત્સવના સમાપન સમારોહમાં વિજેતા વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. ઓવરઓલ વિજેતા હાઉસને ટ્રોફી આપવામાં આવી હતી, જેને વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહથી વધાવી લીધી હતી. શાળાના ટ્રસ્ટી જગદીશ શુક્લા અને મુખ્ય મહેમાન સમીર ગાયકવાડે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય પ્રિયાના માર્ગદર્શન હેઠળ વ્યાયામ શિક્ષકો અમિત પરમાર અને નરેન્દ્ર ગોસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
ઈસનપુરના વૈષ્ણોદેવી યુવક મંડળ દ્વારા 65 વરિષ્ઠ નાગરિકો અને તેમના પરિવારજનો માટે દક્ષિણ ભારતની ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મલ્લિકાર્જુન અને રામેશ્વરમ જ્યોતિર્લિંગ સહિત તિરુપતિ, મદુરાઈ, કન્યાકુમારી અને પદ્મનાભસ્વામી મંદિરના દર્શનનો લાભ લેવાયો હતો. વૈષ્ણોદેવી યુવક મંડળ, ઈસનપુર પરિવાર વર્ષ ૨૦૧૮થી નિયમિતપણે વિવિધ ધાર્મિક સ્થળોની યાત્રાઓનું આયોજન કરી રહ્યું છે. અત્યાર સુધીમાં તેમણે વૈષ્ણોદેવી, ચારધામ (યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદરીનાથ), તુંગનાથ મહાદેવ, નેપાળ પશુપતિનાથ, અમરનાથ, મહારાષ્ટ્રના પાંચ જ્યોતિર્લિંગ, શિરડી, જગન્નાથપુરી, ગંગાસાગર અને ચંપારણ જેવી અનેક કઠિન અને પવિત્ર યાત્રાઓ સફળતાપૂર્વક સંપન્ન કરાવી છે. આ તમામ યાત્રાઓમાં ૩૦૦૦થી વધુ વરિષ્ઠ નાગરિકો, પરિવારજનો અને બાળકો જોડાયા છે, જેમણે વિવિધ પવિત્ર સ્થળોના દર્શનનો લાભ લીધો છે. આ યાત્રા દરમિયાન જીતેન્દ્ર યાદવ સાથે કાર્યકર્તાઓ કરણ યાદવ, જય પ્રજાપતિ, દિલીપભાઈ પટેલ, આશિષ પટેલ, ઉમેશભાઇ પટેલ, સમીર શાહ અને ધારીન પટેલ સેવા કાર્યમાં જોડાયા હતા. વૈષ્ણોદેવી યુવક મંડળ, ઈસનપુર પરિવાર અને ગુરુજી ટ્રાવેલ્સ ભવિષ્યમાં પણ આવા ધાર્મિક યાત્રાઓનું આયોજન કરતા રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
પોલીસે પોક્સો અને પ્રોહિબિશનના બે આરોપી ઝડપ્યા:સાબરકાંઠામાં ગાંભોઈ અને તલોદ પોલીસે કાર્યવાહી કરી
સાબરકાંઠા જિલ્લામાં પોલીસે બે અલગ-અલગ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી છે. ગાંભોઈ પોલીસે પોક્સો એક્ટ હેઠળના ગુનામાં એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે તલોદ પોલીસે પ્રોહિબિશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડ્યો છે. હિંમતનગરના ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ચાર દિવસ અગાઉ પોક્સો એક્ટ હેઠળ દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના જગોલા ગામના રહેવાસી જયંતીભાઈ મશુરભાઈ કટારા આરોપી હતો. પોલીસે ટેકનિકલ એનાલિસિસની મદદથી તેને શોધી કાઢીને ઝડપી પાડ્યો હતો. આરોપી જયંતીભાઈ કટારા સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેને સબજેલમાં મોકલી દેવામાં આવ્યો છે. બીજી ઘટનામાં, તલોદ ડી-સ્ટાફે હરસોલ ચાર રસ્તા પાસેથી પ્રોહિબિશનના ગુનામાં નાસતા-ફરતા આરોપી બેચરભાઈ વેલાજી ડામોર (ઉંમર 55, રહે. બોરકાપાની, તા. બિચ્છીવાડા, જિ. ડુંગરપુર, રાજસ્થાન) ને ઝડપી પાડ્યો હતો. આ આરોપી ચિઠોડા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના બે ગુનામાં છેલ્લા એક વર્ષથી અને અમદાવાદ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના એક ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર હતો. તલોદ પોલીસે તેને પકડીને પોલીસ સ્ટેશન લાવી અટકાયત કરી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
SBS એ 'હેક ધ ગેપ 2026' હેકાથોનનું આયોજન કર્યું:ગુજરાતભરની 33 ટીમોએ ભાગ લીધો, નવીન ઉકેલો રજૂ કર્યા
શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS) દ્વારા રાજ્ય કક્ષાની હેકાથોન “હેક ધ ગેપ 2026” નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતભરના યુવા ઇનોવેટર્સે ટેકનોલોજી-આધારિત ઉકેલો પ્રદર્શિત કરવા માટે ભાગ લીધો હતો. કુલ 33 ટીમોએ સોફ્ટવેર અને હાર્ડવેર શ્રેણીઓમાં તેમના નવીન વિચારો રજૂ કર્યા હતા. GLS યુનિવર્સિટી, SKIPS યુનિવર્સિટી, L.D. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, સિલ્વર ઓક યુનિવર્સિટી, L.J. ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી અને ગુજરાત લો સોસાયટી સહિતની અગ્રણી સંસ્થાઓના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ કાર્યક્રમ શાંતિ બિઝનેસ સ્કૂલના ડિરેક્ટર ડૉ. નેહા શર્માના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. તેમણે ઉદ્યોગ માટે તૈયાર વ્યાવસાયિકોને ઘડવામાં અનુભવલક્ષી શિક્ષણ અને નવીનતા-આધારિત શિક્ષણની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. હેકાથોનનું સંકલન બીસીએ પ્રોગ્રામના હેડ ડૉ. સેજલ ત્રિવેદીએ તેમની ફેકલ્ટી ટીમ સાથે મળીને કર્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં આરંભ ઇન્ક્યુબેશન સેન્ટર, અનંત નેશનલ યુનિવર્સિટીના ડિરેક્ટર - પ્રોજેક્ટ્સ, ગ્રાન્ટ્સ અને ફંડ્સ ડૉ. યશ પંડ્યા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. રિંકી રોલા, ડીન - એકેડેમિક્સ અને ડૉ. કે.જી.કે. પિલ્લઈ, રજિસ્ટ્રાર, શાંતિ બિઝનેસ સ્કૂલની હાજરીથી સમારોહ વધુ ગૌરવપૂર્ણ બન્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને સંસ્થાકીય મૂલ્યો સાથે નવીનતા અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. આ એક દિવસીય હેકાથોન વિદ્યાર્થીઓને વાસ્તવિક દુનિયાના પડકારો માટે વિચાર, ડિઝાઇન અને વ્યવહારુ ઉકેલો દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડતી સઘન શૈક્ષણિક અને નવીનતા કવાયત તરીકે ઉભરી આવી હતી. સહભાગીઓનું મૂલ્યાંકન બે જ્યુરી રાઉન્ડ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં નવીનતા, વ્યવહારિકતા અને અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સમાપન એવોર્ડ સમારોહ સાથે થયું, જેમાં બંને શ્રેણીઓમાં ઉત્કૃષ્ટ ટીમોને સન્માનિત કરવામાં આવી. સોફ્ટવેર કેટેગરીમાં, પ્રથમ પુરસ્કાર એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગની ટીમ ડીપ ડિફેન્ડર્સને, બીજો પુરસ્કાર એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગની ટીમ ફૂડિફાયને અને ત્રીજો પુરસ્કાર ગુજરાત લો સોસાયટીની ટીમ ટેક સેન્ટિનલ્સને એનાયત કરવામાં આવ્યો હતો. હાર્ડવેર કેટેગરીમાં, પ્રથમ પુરસ્કાર શાંતિ બિઝનેસ સ્કૂલની ટીમ CREWD, બીજો પુરસ્કાર શાંતિ બિઝનેસ સ્કૂલની ટીમ કલ્ચર ક્રાફ્ટર અને ત્રીજો પુરસ્કાર શ્રીમતી ચંદાબેન મોહનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સની ટીમ ટેક ટ્વિન્સને મળ્યો હતો.
HSC વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભ યોજ્યો:બી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં ભાવિ જીવન માટે પ્રેરણા અપાઈ
શ્રી પાટણ જૈન મંડળ સંચાલિતબી.ડી. સાર્વજનિક વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના એસોસિએશન દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને તેમના ભાવિ જીવન માટે પ્રેરણા અને શુભકામનાઓ પાઠવવાનો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ, વિદ્યાર્થીઓને જીવનના આગામી તબક્કા માટે સકારાત્મક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. વિદ્યાર્થીઓ દ્વારા ભાવસભર વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું, જેને ઉપસ્થિત સૌએ સારો પ્રતિસાદ આપ્યો. આ પ્રસંગે શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો અને લાગણીઓ વ્યક્ત કરી હતી. ડૉ. અતુલભાઈ અગ્રવાલે વિદ્યાર્થીઓને જીવનમાં મૂલ્યો, પરિશ્રમ અને સંકલ્પના મહત્વ વિશે પ્રેરણાદાયક ઉદબોધન આપ્યું. ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન દ્વારા વિદ્યાર્થીઓને ઉપયોગી કીટનું વિતરણ કરવામાં આવ્યું. શાળાના આચાર્ય ડૉ. બી.આર. દેસાઈએ આશીર્વચન પાઠવતાં વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી. કાર્યક્રમ દરમિયાન ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ શુભેચ્છા સમારંભમાં મહેમાનશ્રીઓ તરીકે એસોસિએશન મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના એસોસિએશનના સભ્યો ડૉ. અતુલભાઈ અગ્રવાલ, ડૉ. રાકેશભાઈ મહેતા, ધીરુભાઈ શાહ, કેતનભાઈ પટેલ, જીતુભાઈ જાદવ તેમજ વાલીમંડળના પ્રમુખ રાજેન્દ્રભાઈ છેડા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આભાર દર્શન કરવામાં આવ્યું અને સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામનો આભાર માનવામાં આવ્યો.
હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજમાં ઇનોવેશન ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય DIY (Do It Yourself) કિટ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નવીન વિચારધારા અને પ્રાયોગિક કૌશલ્ય વિકસાવવાનો હતો, જેમાં વિવિધ શાખાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન, વિદ્યાર્થીઓને DIY કિટની કાર્યપદ્ધતિ, તેના ઉપયોગો અને સ્વનિર્મિત પ્રોજેક્ટ્સ તૈયાર કરવા અંગે પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી. માર્ગદર્શકોએ વિદ્યાર્થીઓને જાતે જ કિટ એસેમ્બલ કરાવીને ટેકનિકલ સમજણ સાથે નવા પ્રયોગો કરવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના સમાપન પ્રસંગે, ઇનોવેશન ક્લબના સંયોજક ડૉ. કમલેશ પટેલે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં સમસ્યા હલ કરવાની ક્ષમતા, સર્જનાત્મકતા અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. તેમણે ભવિષ્યમાં પણ આવા વધુ ઉપયોગી કાર્યક્રમો યોજવાની યોજના હોવાનું ઉમેર્યું હતું. આ કાર્યક્રમનું સફળ આયોજન કૉલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંહ આનંદના માર્ગદર્શન હેઠળ ઇનોવેશન ક્લબના ઇન્ચાર્જ ડૉ કમલેશભાઈ પટેલ અને પ્રાધ્યાપકોના સહયોગથી થયું હતું. વિદ્યાર્થીઓએ આ તાલીમને ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાદાયી ગણાવી હતી.
સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજના ઇનોવેશન ક્લબ દ્વારા દ્વિદિવસીય પ્રોટોટાઇપ ડિઝાઇન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નવીનતા, સર્જનાત્મકતા અને વ્યવહારુ વિચારશક્તિને પ્રોત્સાહન આપવાનો હતો. વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓને સમસ્યાઓની ઓળખ, ડિઝાઇન થિંકિંગ, આઇડિયા જનરેશન, પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ અને ટીમવર્કના મહત્વ અંગે માર્ગદર્શન અપાયું હતું. નિષ્ણાત માર્ગદર્શકો ડૉ. પાર્થ રાવલ અને ડૉ. જૈમિન પ્રજાપતિએ વાસ્તવિક ઉદાહરણો સાથે પ્રેક્ટિકલ તાલીમ પૂરી પાડી હતી. બંને દિવસ દરમિયાન, વિદ્યાર્થીઓએ જૂથોમાં કામ કરીને પોતાની નવીન કલ્પનાઓને પ્રોટોટાઇપ સ્વરૂપે રજૂ કરી હતી. વર્કશોપના અંતે, વિવિધ ટીમોના પ્રોજેક્ટ્સનું પ્રેઝન્ટેશન યોજાયું હતું અને શ્રેષ્ઠ પ્રોટોટાઇપ્સને પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. ટેકપાલ સિંહ આનંદ અને ઇનોવેશન ક્લબના સંયોજક ડૉ. કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અત્યંત ઉપયોગી છે. તેમણે ભવિષ્યમાં પણ આવા વધુ કાર્યક્રમો આયોજિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ વર્કશોપથી વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિક વિચારસરણી વિકસશે અને તેઓ નવીન ઉકેલો શોધવા તરફ આગળ વધશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હિંમતનગરની મેડિકલ કોલેજ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2026 નો સમાપન સમારોહ યોજાયો. આ એક માસ દરમિયાન જિલ્લામાં વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. સમાપન સમારોહમાં જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીવાયએસપી કુલદીપ નાયી, સાબર ટ્રાફિક એજ્યુકેશનના પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં એક મહિના સુધી અનેક જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વિવિધ પોલીસ મથક વિસ્તારોમાં ચિત્ર સ્પર્ધા, ડ્રાઇવરો માટે આંખોની તપાસના કેમ્પ, ઓવરસ્પીડના કેસ અને હેલ્મેટ-સીટબેલ્ટ જાગૃતિ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અકસ્માતમાં ઘાયલ થયેલાઓને મદદરૂપ થવા માટે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું. ટ્રાફિક જાગૃતિ માટે 250 કિલોમીટરની બાઇક રેલી અને 'રન ફોર ટ્રાફિક અવેરનેસ' કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં 1200થી વધુ લોકો જોડાયા હતા. સમાપન સમારોહ દરમિયાન મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતી અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
ગાબાણી કોલેજમાં દેશભક્તિ ગીત સ્પર્ધા યોજાઈ:વિદ્યાર્થીઓને દેશભક્તિ પ્રત્યે જાગૃત કરાયા
તાપી બ્રહ્મચર્યાશ્રમસભા સંચાલિત જે.ડી. ગાબાણી કોમર્સ કોલેજ અને સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ ઑફ મેનેજમેન્ટ, વરાછા ખાતે આજરોજ દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને દેશભક્તિ પ્રત્યે જાગૃત કરવાનો હતો. આ સ્પર્ધામાં ૧૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિજેતા પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. ભરત ઠુંમર અને ડૉ. અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રો. પ્રેયસી પટેલે નિર્ણાયક તરીકે સેવા આપી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અરવિંદભાઈ ગજેરા અને સમગ્ર કોલેજ પરિવારે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને વિજેતાઓને અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવી હતી.
ઝાલાવાડી સઈ સુથાર સમાજે 34મો સમૂહ લગ્નોત્સવ યોજ્યો:જેમાં 16 યુગલોએ નવા જીવનની શરૂઆત કરી
ઝાલાવાડી સઈ સુથાર સમાજ દ્વારા તાજેતરમાં 34મો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે 16 યુગલોએ લગ્નગ્રંથિથી જોડાઈને પોતાના નવા જીવનનો પ્રારંભ કર્યો. આ સમૂહ લગ્નનું આયોજન સમાજના આગેવાનો અને સભ્યોના સહયોગથી સુવ્યવસ્થિત રીતે કરાયું હતું. પરંપરાગત રીતિ-રિવાજો અનુસાર લગ્નવિધિ સંપન્ન થઈ, જેમાં સમાજના લોકોએ નવદંપતિઓને આશીર્વાદ આપ્યા. આ આયોજનનો મુખ્ય હેતુ સામૂહિક એકતા અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપવાનો હતો. વર્તમાન સમયમાં મોંઘા લગ્નપ્રસંગોના વિકલ્પ તરીકે સમૂહ લગ્ન સમાજ માટે એક સારો માર્ગ પૂરો પાડે છે. સમાજના આગેવાનોએ જણાવ્યું કે, આ સમૂહ લગ્નોત્સવ સમાજના સહકાર અને સંસ્કૃતિનું પ્રતિક છે. સમાજના દરેક વર્ગના લોકો આવા આયોજનોને સફળ બનાવવા માટે એકસાથે જોડાય છે, જે અમારી સૌથી મોટી શક્તિ છે. આ પ્રસંગે મહેમાનો, સમાજના વડીલો, યુવાનો અને મહિલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં વ્યક્તિગત લગ્નની જેમ જ તમામ વિધિ-વિધાન અને ઉજવણીનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. આનાથી સમાજના દરેક સ્તરના લોકોની પોતાના સંતાનના લગ્ન ભવ્ય રીતે થાય તેવી ઈચ્છા પૂર્ણ થઈ, જે સમાજની એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી મંગળવારે, 13 ડિસેમ્બર, 2025ના રોજ હનુમાનજીને વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્ક અને ફૂલની ડિઝાઇનવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. આ શણગારમાં ઓર્કિડ અને શેવંતીના મિશ્ર ફૂલોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેણે ભગવાનની પ્રતિમાને ભવ્ય દેખાવ આપ્યો હતો. સવારે 5:30 કલાકે મંગળા આરતી અને 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે અનેક હરિભક્તોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
સુલતાન અહેમદ મુસ્લિમ યતીમખાનાના બાળકોએ 31 જાન્યુઆરી, 2026ના રોજ કેવડિયા કોલોનીની મુલાકાત લીધી હતી. આ પ્રવાસમાં બાળકોએ જ્ઞાન સાથે ગમ્મત મેળવી હતી. આ મુલાકાત દરમિયાન બાળકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, મેજ ગાર્ડન, લેસર શો અને સરદાર સરોવર જેવા વિવિધ સ્થળો નિહાળ્યા હતા. બાળકોએ આ સ્થળોની મુલાકાતથી ખૂબ આનંદ અનુભવ્યો હતો અને શૈક્ષણિક જ્ઞાન પણ મેળવ્યું હતું. પ્રવાસ દરમિયાન ગાઈડ અને યતીમખાનાના સ્ટાફ સભ્યોએ બાળકોને પૂરતી મદદ પૂરી પાડી હતી.
જામીન અરજી ફગાવી:કડીમાં યુવાન પર હુમલાના કેસમાં બે આરોપીઓની જામીન અરજી મહેસાણા સેશન્સ કોર્ટે ફગાવી
કડી શહેરમાં આવેલી બાલાપીર દરગાહના કંપાઉન્ડમાં ગત 26 જાન્યુઆરીના રોજ એક યુવાન પર થયેલા હિચકારા હુમલાના પ્રકરણમાં જેલમાં બંધ બે આરોપીઓની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. મહેસાણા સેશન્સ જજ આર.બી. ઈટાલીયાએ સરકારી વકીલની ધારદાર દલીલો અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખી આરોપી ફારૂક દિવાન અને મહમંદશાહ ફકીરને જામીન પર મુક્ત કરવાનો ઇનકાર કર્યો હતો. સમગ્ર ઘટનાની વિગત મુજબ 26 જાન્યુઆરી 2026ના રોજ ધવલ ગજ્જર નામનો યુવાન બાલાપીર દરગાહ કંપાઉન્ડમાં આવેલી એક દુકાને ઉભો હતો. આ દરમિયાન ટુ વ્હીલર પર આવેલા મુનાફ ઉર્ફે મામા, ઈર્ષાદ ઉર્ફે ચુહો, અયાન કુરેશી અને ઈમ્તીયાઝ ઉર્ફે હાફીઝ નામના શખ્સોએ હિન્દુ થઈને દરગાહમાં કેમ આવ્યો છે? તેમ કહી બોલાચાલી કરી હતી. જોતજોતામાં મામલો બિચક્યો હતો અને આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી હથિયારો સાથે યુવાન પર તૂટી પડ્યા હતા. આ હુમલા દરમિયાન ઈર્ષાદે છરી વડે જીવલેણ ઘા ઝીંકતા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના પગલે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ‘જામીન આપવામાં આવે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી શકે’ આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી ફારૂક દિવાન અને મહમંદશાહ ફકીરે રેગ્યુલર જામીન મેળવવા માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. સુનાવણી દરમિયાન મુખ્ય જિલ્લા સરકારી વકીલ વિજય બારોટે જામીનનો સખત વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે, સીસીટીવી ફૂટેજના આધારે હજુ વોઈસ સ્પેક્ટ્રમ ટેસ્ટની કાર્યવાહી બાકી છે. વધુમાં, આગામી દિવસોમાં દરગાહમાં ઉર્સનો મેળો યોજાનાર હોવાથી જો આરોપીઓને જામીન આપવામાં આવે તો વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી શકે છે અને કોમી શાંતિ ડહોળાય તેવી શક્યતા છે.અદાલતે સરકાર પક્ષની દલીલો અને ગુનાની ગંભીરતાને ગ્રાહ્ય રાખી બંને આરોપીઓની જામીન અરજી ફગાવી દેતો હુકમ કર્યો હતો
રાજકોટના ખીરસરા ગામમાં એક સામાન્ય પરિવારમાં ઉછરેલા 16 વર્ષના કિશોરના જીવનમાં અચાનક અંધકાર છવાઈ ગયો હતો. ચહેરા પર હંમેશા સ્મિત રાખતા આ કિશોરની તબિયત એકાએક બગડવા લાગી. તપાસમાં સામે આવ્યું કે તેને બ્લડ કેન્સર જેવી ગંભીર બીમારી છે. સિલાઈકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પિતા માટે દીકરાની આ મોંઘી સારવારનો ખર્ચ ઉઠાવવો અશક્ય હતો. પરિવાર જ્યારે હતાશામાં હતો, ત્યારે સરકારનો “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” (RBSK) તેમના માટે આશાનું કિરણ બન્યો. શાળામાં તપાસ દરમિયાન સમયસર નિદાન કિશોરની શાળામાં RBSK ટીમ દ્વારા નિયમિત તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ડોક્ટરોને તેના લક્ષણો અસામાન્ય લાગતા ત્વરિત રિપોર્ટ્સ કરાવવાની સલાહ આપવામાં આવી. ટીમની સતર્કતાને કારણે તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદની આસારવા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. અહીં 6 મહિના સુધી ચાલેલી સઘન અને કઠિન સારવાર બાદ કિશોર હવે સંપૂર્ણ સ્વસ્થ છે. તેના માતા-પિતાએ લાગણીસભર શબ્દોમાં સરકાર અને આરોગ્ય વિભાગનો આભાર માનતા જણાવ્યું કે, એક પણ રૂપિયાના ખર્ચ વગર તેમના દીકરાને નવું જીવન મળ્યું છે. RBSK: 0 થી 18 વર્ષના બાળકો માટે આશીર્વાદરૂપ લોધિકા તાલુકાના RBSK ડોક્ટર શાહિન અઘામે જણાવ્યું કે, આ કાર્યક્રમ અંતર્ગત નવજાત શિશુથી લઈ 18 વર્ષ સુધીના તમામ બાળકોની પ્રાથમિક ચકાસણીથી લઈને સુપર સ્પેશ્યાલિસ્ટ સુધીની તમામ સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. જન્મજાત ખામી, હૃદયરોગ, કેન્સર કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવી ગંભીર બીમારીઓમાં સરકાર ત્વરિત નિદાન અને નિ:શુલ્ક સારવારનો અભિગમ ધરાવે છે. આ કિસ્સામાં ડો. મોહિતસિંહ જાડેજા, ખુશ્બુબેન સિંગલ અને નિખિલભાઈના સંયુક્ત પ્રયત્નોથી કિશોરને સમયસર સારવાર મળી શકી હતી. ફરી સપનાઓ તરફ પ્રયાણ કેન્સરને મ્હાત આપ્યા બાદ આ કિશોર હવે ફરીથી પોતાના અભ્યાસમાં પરોવાઈ ગયો છે. તે હાલ ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરી રહ્યો છે અને નામાના મૂળતત્વો તથા આંકડાશાસ્ત્ર જેવા વિષયોમાં રુચિ ધરાવે છે. તેની આ હિંમત અને સરકારની સહાય અન્ય પરિવારો માટે પણ પ્રેરણારૂપ છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં હાલ 42 જેટલા બાળકો કેન્સરની આવી જ રીતે નિ:શુલ્ક સારવાર લઈ રહ્યા છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
શિક્ષાપત્રી મંથન:માણસ તરીકે આપણો ધર્મ બીજાને મદદ કરવાનો છે: સાધુ પ્રેમવત્સલદાસજી
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ, મણિનગરના મોટિવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ શિક્ષાપત્રીની ૨૦૦મી જયંતી નિમિત્તે જણાવ્યું હતું કે, ભગવાને આપણને જે કંઈ આપ્યું છે, તેનો ઉપયોગ દેશ અને સમાજ માટે કરવો જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે, માણસ તરીકે આપણો ધર્મ બીજાને મદદ કરવાનો છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ માણસાઈના મહત્વને સમજાવવા માટે એક પ્રસંગ વર્ણવ્યો. તેમણે કહ્યું કે એક શેઠ પોતાની પેઢીએ બેઠા હતા ત્યારે એક ભિખારી તેમની પાસે આવ્યો અને દસ પૈસા, ખાવાનું કે પાણી માંગ્યું. શેઠે ભિખારીને પરચુરણ ન હોવાનું, દુકાન ભોજનશાળા ન હોવાનું અને પાણી માટે કોઈ માણસ આવે તેની રાહ જોવાનું કહ્યું. ભિખારીએ વારંવાર પાણી માંગતા, શેઠે ફરીથી કહ્યું કે માણસ આવશે ત્યારે આપશે. ત્યારે ભિખારીએ શેઠને કહ્યું, તો, શેઠ પાણી આપવા પૂરતા, તમે જ માણસ બની જાવ ને... આ પ્રસંગ દ્વારા સાધુ પ્રેમવત્સલદાસજીએ સમજાવ્યું કે, આપણે માણસ હોઈએ તો બીજાને મદદ કરવી જ જોઈએ. તેમણે ઉમેર્યું કે, આ વાત આપણે સૌએ સમજવાની જરૂર છે. તેમણે શ્રી સ્વામિનારાયણ ભગવાનના શિક્ષાપત્રી ગ્રંથના ૧૩૯મા શ્લોકનો પણ ઉલ્લેખ કર્યો. આ શ્લોકમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, રોગાતુર વ્યક્તિ, માતા-પિતા અને ગરીબ લોકોને અવશ્ય મદદ કરવી જોઈએ.
ગોધરામાં SOGએ ગેરકાયદે હથિયારોનો મોટો જથ્થો ઝડપ્યો:2 ડબલ બોર બંદૂક, 6 એરગન સાથે એક શખ્સની ધરપકડ
પંચમહાલ SOG ટીમે ગોધરા શહેરના વચલા ઓડા વિસ્તારમાં દરોડો પાડી ગેરકાયદેસર હથિયારોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બાતમીના આધારે એક મકાન અને દુકાનમાં તપાસ કરતા પોલીસને 2 ડબલ બેરલ બંદૂક, 6 એરગન, 4 જીવતા કારતૂસ, 11 ખાલી કારતૂસ અને 6 ડબ્બા લોખંડના છરા મળી આવ્યા હતા. પોલીસે કુલ ₹1.33 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે એહમદ હુસેન મોહન નામના શખ્સની અટકાયત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે તેણે આ બંદૂકો રહીશ હુસેન 'મીઠા' નામના વ્યક્તિ પાસેથી મેળવી હતી. આ ખુલાસા બાદ પોલીસે હથિયાર પૂરા પાડનાર મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા આરોપી વિરુદ્ધ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હથિયારો લાવવાનો હેતુ અને આ નેટવર્કમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.
હજીરા, સુરત સ્થિત નવચેતન અદાણી વિદ્યાલય (પ્રાથમિક વિભાગ, જૂનાગામ) ખાતે “Together We Rise” થીમ અંતર્ગત એક અર્થપૂર્ણ રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સામાજિક જાગૃતિ લાવવાની સાથે “સાથે મળીને વિકસીએ” નો સંદેશ પ્રસરાવવાનો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને અદાણી હજીરા પોર્ટના એચઆર હેડ રીતેશ સાહુ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓની સર્જનાત્મક પ્રસ્તુતિ બાળભવનથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ પોતાની કળા દ્વારા વિવિધ સામાજિક અને રાષ્ટ્રીય વિષયોને જીવંત કર્યા હતા. વિદ્યાર્થીઓએ અભિનય, નૃત્યનાટિકા, કવ્વાલી અને ચર્ચાસભા દ્વારા નાગરિક જવાબદારી, કચરાનું સંચાલન, સૃષ્ટિચક્રનું સંતુલન અને પૌષ્ટિક આહાર જેવા વિષયો રજૂ કર્યા હતા. આ ઉપરાંત, દેશના વિકાસમાં શિક્ષણનો ફાળો, ભારતની વૈશ્વિક સિદ્ધિઓ અને અદાણી ગ્રુપના સ્થાપક ગૌતમ અદાણીની પ્રેરણાદાયક જીવનયાત્રાને પણ આકર્ષક રીતે પ્રદર્શિત કરવામાં આવી હતી. મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને મહેમાનોની ઉપસ્થિતિ આ ઉત્સવમાં વિલમારના એચઆર હેડ સોનલકુમાર, ભાવેશ ડોંડા, ભગુભાઈ પટેલ, હજીરા PI પરમાર સાહેબ અને SVNIT ના પ્રોફેસર વર્ષાબેન શાહ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં આદર, નિયમિતતા, સહકાર અને ચોકસાઈ જેવા મૂલ્યોનું સિંચન કરવાનો પ્રયાસ કરાયો હતો. સ્વચ્છતા અને સંસ્કૃતિ સંરક્ષણ સાથે આધુનિક વિચારધારાને અપનાવવાનો સશક્ત સંદેશ લોકો સુધી પહોંચાડવામાં શાળા પરિવાર સફળ રહ્યો હતો.
બે રીકવરી એજન્ટો અને તેના સાગરીતોની ભરતનગર પોલીસે ધડપકડ કરી ભાવનગર શહેરમાં રહેતા એક કેક શોપના માલિકે ખાનગી બેંક માંથી ક્રેડિટ કાર્ડ પર લોન લીધી હોય અને લોનના હપ્તા ચૂકી જતા રીકવરી એજન્ટો એ સાગરીતો સાથે યુવાનની શોપ પર આવી છરી વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આ અંગે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં પોલીસે ચારેય શખ્સોની ધડપકડ કરી છે, આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલ હરિઓમનગરમાં રહેતા અને રીંગરોડ પર કેક શોપ ધરાવતા પ્રતીક ભીમજી પાંગળ એ એક્સિસ બેન્કમાંથી ક્રેડિટ કાર્ડ અને લોન લીધી હતી, જેને આપતા સમયસર ન ભરી શકતા બેંકના રિકવરી એજન્ટ હરદિપ હનુભા ઝાલા, મિતરાજ યુવરાજ જાડેજા, નામના એજન્ટોએ તેના બે સાગરીત જેમાં સચિન રમણીક કારીયા, અને હર્ષદીપ હરપાલ ગોહિલ સાથે પ્રતીકની શોપ પર આવ્યા હતા અને હપ્તા મુદ્દે ઝઘડો કરી તેના પર છરી વડે હુમલો કરી મૂંઢમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા, આ અંગે પ્રતિકે ચારેય શખ્સો વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ આધારે પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તારમાં આજે એક લોહિયાળ હત્યાની ઘટના સામે આવી છે. આશરે 40થી 45 વર્ષની ઉંમરના એક યુવાનને છરીના અનેક ઘા ઝીંકીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ લાશ લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી, જેના કારણે આખા વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને લાશની તપાસ કરીને તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. પોલીસે હત્યાના આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. હત્યા કોણે કરી અને શા માટે કરવામાં આવી તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ પ્રેમ પ્રકરણ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી આરોપીઓની ઓળખ થઈ નથી. આ ઘટનાએ રાજકોટના સ્પીડવેલ વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે અને સ્થાનિક લોકોમાં સુરક્ષાની ચિંતા વધી ગઈ છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં CCTV ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે તપાસ તેજ કરી છે. આરોપીઓને ઝડપથી પકડવાના પ્રયાસો ચાલુ છે અને આ કેસમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
હળવદ, મોરબીમાં બે વ્યક્તિના આપઘાત:રણમલપુરમાં આધેડ, નવા સાદુળકામાં યુવાનનું મોત
હળવદ અને મોરબી જિલ્લામાં બે અલગ-અલગ ઘટનાઓમાં બે વ્યક્તિઓએ આપઘાત કર્યો છે. હળવદના રણમલપુર ગામે એક આધેડે ઝેરી દવા પીને જીવ ટૂંકાવ્યો હતો, જ્યારે મોરબીના નવા સાદુળકા ગામે એક યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, હળવદ તાલુકાના રણમલપુર ગામના રહેવાસી દિલીપભાઈ હરજીભાઈ વરમોરા (ઉં.વ. 52) એ દોઢ લાખ રૂપિયા હાથ ઉછીના લીધા હતા. આ બાબતે તેમના પત્નીએ પૂછપરછ કરતા દિલીપભાઈને મનોમન લાગી આવ્યું હતું. ગત તા. 21 જાન્યુઆરીના રોજ સાંજના સમયે દિલીપભાઈએ પોતાની વાડીએ ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ધાંગધ્રા અને ત્યારબાદ સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મૃતક આધેડના પુત્ર અંકિતભાઈ દિલીપભાઈ બરમોરા (ઉં.વ. 28, રહે. રણમલપુર) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી ઘટનામાં, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના નવા સાદુળકા ગામ પાસે હરિપર કેરાળા માર્ગ પર આવેલી શિવલાલભાઈ મગનભાઈની વાડીએ મજૂરી કામ કરતા પતલીયા ગમલા રાઠવા (ઉં.વ. 43) એ આપઘાત કર્યો હતો. યુવાને કોઈ અગમ્ય કારણોસર વાડીએ ગળાફાંસો ખાઈ લીધો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. દિલીપભાઈ પાંચોટિયા (રહે. મોરબી) મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી છે. હેડ કોન્સ્ટેબલ એસ.વી. સોલંકી દ્વારા યુવાનના આપઘાત પાછળના કારણો જાણવા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
ભગવાન બુદ્ધના અવશેષો શ્રીલંકા મોકલાયા વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં સચવાયેલા ગૌતમ બુદ્ધના અસ્થિના અવશેષો આજે શ્રીલંકામાં આયોજિત બુદ્ધિસ્ટ સંમલેનમાં મોકવામાં આવ્યા ... આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભગવાન બુદ્ધના અવશેષોને ગાર્ડ ઓફ ઓનર આપાયુ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આંકડાકીય વિભાગમાં બઢતી–બદલીનો નિર્ણય રાજ્ય સરકારે ગુજરાત આંકડાકીય સેવામાં બઢતી–બદલીનો નિર્ણય લીધો છે ... વર્ગ-2 સંવર્ગમાં 25 સંશોધન અધિકારીઓને ગુજરાત આંકડાકીય સેવા નાયબ નિયામક, વર્ગ-1 સંવર્ગના પગારધોરણમાં હંગામી ધોરણે બઢતી કરાઇ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરત - વડોદરા મનપાનુ ડ્રાફ્ટ બજેટ રજૂ સુરત અને વડોદરા મનપાનુ વર્ષ 2026-27નુ ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ છે જેમાં સુરત મનપાનુ 10,593 કરોડનું કરબોજ વિનાનું બજેટ છે જ્યારે વડોદરા મનપાનુ રૂ. 7609 કરોડનું છે સુરત બજેટના સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વડોદરા બજેટનાં સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શાકભાજીની લારી લઈને જતો હતો ને ઢળી પડ્યો રાજકોટમાં શાકભાજીની લારી ચલાવતો યુવાન બેભાન થઈ ઢળી પડતા બેભાન થઈ ગયો હતો. ત્યાર બાદ શાકભાજીની લારીની નીચે ઘુસી ગયો હતો. યુવાનની ગંભીર હાલતને લઇને સ્થાનિકોએ CPR આપ્યુ હતુ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ડામર વાળુ પાણી પીવડાવ્યુ અમદાવાદના મણિનગરમની દુર્ગા સ્કૂલમાં વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની પાણીની બોટલમાં ડામરની ગોળીઓ નાખી દીધી. વિદ્યાર્થીએ એ પાણી પીધું અને વિચિત્ર ગંધ આવતા હોસ્પિટલ લઈ જવાયો હતો. સુકુલે ઘટના છુપાવતા DEOએ સ્કૂલને શો - નોટિસ ફટકારી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદમાં કેન્સરનો દર્દી ભડભડ સળગ્યો અમદાવાદના અસારવામાં કેન્સરના દર્દીએ પોતાના પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી ... ભડભડ સળગતા જોઇ આજુબાજુના લોકોએ પાણી છાંટી આગ બુજાવી હતી... દાઝી ગયેલા આધેડે સારવાર દરમિયાન દમ તોડ્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જૂનાગઢમાં દરગાહના પરિસરમાં યુવકની હત્યા જૂનાગઢના ભલાયશા દરગાહના પરિસરમાં 4 હથિયારબંધ શખ્સોએ છરી અને લોખંડના પાઈપ વડે હુમલો કરી 30 વર્ષીય તાજીમ સોઢાની નિર્મમ હત્યા કરી... હુમલામાં વચ્ચે પડેલા અન્ય એક યુવકને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોઈ ન જઈ શકે ત્યાં આગ કેવીરીતે લાગી? સુરતમાં ખજોદ ડિસ્પોઝલ સાઈટમાંથી કચરો અન્ય વિસ્તારોમાં ઠાલવવાના વિવાદ વચ્ચે સાઈટ પર કચરાના ઢગલામાં આગ ફાટી નીકળી હતી. આગનો ધુમાડો પાંચ કિલોમીટર સુધી દેખાતો હતો 25 કલાકની જહેમત બાદ આગ પર કાબુ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાદરા પાસે મહીસાગર નદીમાં નાવડી પલટી વડોદરાના પાદરા પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં એક નાવડી પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો નાવડીમાં પાચથી વધુ લોકો સવાર હતા .. કિનારા નજીક અકસ્માત થયો હોવાથી તમામ લોકોને ઉગારી લેવાયા.આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં વાદળ છાયા વાતાવરણની આગાહી હવામાન વિભાગે રાજ્યના વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી 24 કલાક વાદળ છાયું વાતાવરણની આગાહી કરી છે તો બીજી તરફ ચાર મહાનગરોમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે છે ... સુરતમાં સૌથી વધુ 225 AQI નોંધાયો છે ... સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
સોમનાથ મહાશિવરાત્રિ પૂજા:વેબસાઇટ સર્વર જામ, 13 લાખથી વધુ ભક્તોના ધસારાથી ટેકનિકલ સમસ્યા સર્જાઈ
મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત ₹25 ની વિશેષ બિલ્વપૂજાને દેશ-વિદેશના ભક્તો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં 13 લાખથી વધુ શિવભક્તોએ આ પૂજા ઓનલાઈન નોંધાવી છે. ભક્તોનો ઓનલાઈન પ્રવાહ એટલો વધી ગયો કે સિસ્ટમના સર્વરો જામ થઈ ગયા. આના કારણે પૂજા નોંધણી પ્રક્રિયામાં અવરોધ ઊભો થયો છે. આ ટેકનિકલ અગવડતાને દૂર કરવા માટે સોમનાથથી લઈને મુંબઈ સુધીની નિષ્ણાત IT ટીમો યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. સમસ્યાના નિરાકરણ માટે રાત-દિવસ કામગીરી ચાલુ છે. ભારે ધસારાને કારણે છેલ્લા 24 કલાકમાં જે ભક્તો પૂજા નોંધાવી શક્યા નથી, તેમને શ્રી સોમનાથ ટ્રસ્ટે અપીલ કરી છે. ટ્રસ્ટે જણાવ્યું કે, ટેકનિકલ કામગીરી પૂર્ણ થતાં જ વ્યવસ્થા પૂર્વવત થશે અને ભક્તો ફરીથી વિશેષ બિલ્વપૂજા નોંધાવી શકશે.
પાટણમાં સ્વદેશી મેળાના આયોજન અંગે બેઠક:નિવાસી અધિક કલેકટર હિરેન ચૌહાણની અધ્યક્ષતામાં ચર્ચા
પાટણ કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર (ઇ. ચા.) અને પ્રાંત અધિકારી હિરેન ચૌહાણની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' અભિયાન અંતર્ગત સ્થાનિક સ્વસહાય જૂથો, હસ્તકલાના કારીગરો અને નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટેના સ્વદેશી મેળાના સુચારુ આયોજન અંગે હતી. આ આયોજન અંતર્ગત પાટણ નગરપાલિકા દ્વારા પ્રગતિ મેદાન ખાતે આગામી તા.8થી 15 ફેબ્રુઆરી,2026 સુધી સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટિવલ)નું આયોજન કરવામાં આવ્યું છે. બેઠક દરમિયાન, સ્વદેશી મેળાના સ્થળ, સમયગાળો, સ્ટોલ વ્યવસ્થા, સ્વચ્છતા, સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સ્થાનિક કારીગરો અને સ્વસહાય જૂથોને મેળામાં કેવી રીતે જોડવા તે અંગે પણ વિચારણા કરવામાં આવી. સ્વદેશી ઉત્પાદનોને વ્યાપક બજાર મળે અને નાગરિકોમાં સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અંગે જાગૃતિ વધે તે માટે વિવિધ આયોજનાત્મક સૂચનો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરની સાધારણ સભા આજરોજ શિક્ષણ સમિતિ ના ચેરમેન ડો.નિકુંજ મહેતાની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં આ બેઠકમાં શિક્ષણનું સ્તર સુધારવા અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોના સર્વાંગી વિકાસ માટે 15 જેટલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને ચર્ચા બાદ તમામ મુદ્દાઓને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી, શહેરના નવાપરા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરી ખાતે આજરોજ શિક્ષણ સમિતિની સાધારણ સભા સમિતિ ના ચેરમેન ડો.નિકુંજ મહેતા ની અધ્યક્ષતામાં યોજાઈ હતી અને જેમાં 15 જેટલા કાર્યોને બહાલી આપવામાં આવી હતી જેમાં શાળાઓમાં બાળકો માટે આધુનિક શૈક્ષણિક રમકડાં, મોન્ટેસરી સાધનો અને સંગીતના સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે, વિવિધ સ્પર્ધાઓ જેવી કે, NMMS, PSE, ખેલ મહાકુંભ અને કલા મહાકુંભમાં જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઝળકેલા તેજસ્વી વિદ્યાર્થીઓનું આગામી દિવસોમાં સન્માન કરાશે, દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે પ્રવાસનું આયોજન કરવામાં આવશે, વિશેષ વાત એ છે કે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ માતા-પિતા વગરના (અનાથ) બાળકોને પણ આ પ્રવાસમાં સાથે જોડવામાં આવશે, શાળાઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આચાર્યો અને શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે તેમનું વિશેષ સન્માન કરવામાં આવશે, મહાનગરપાલિકામાં ભળેલી નવા બંદરની પ્રાથમિક શાળાનું નામ હવે સમાજ સુધારક અને સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી નામે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેમજ અમારો મુખ્ય હેતુ શાળાઓમાં શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓ વધારવાનો છે, વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે અને શિક્ષકોને પ્રોત્સાહન મળે તે દિશામાં અમે સતત કાર્યરત છીએ, તેમ શિક્ષણ સમિતિના ચેરમેન ડો.નિકુંજ મહેતા એ જણાવ્યું હતું.
ભરૂચમાં ગંદા પાણીનો બેકફ્લો:STP પમ્પિંગ સ્ટેશન પર કર્મચારી ન હોવાથી સમસ્યા
ભરૂચ શહેરના વોર્ડ નંબર-1માં આવેલા ગેલાની કુવા વિસ્તારમાં સ્થાનિકોને ગંદા પાણીના બેકફ્લોની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ બનેલા સુએઝ STP ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે જોડાયેલા પમ્પિંગ સ્ટેશન પર કર્મચારીઓ ન હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. પરિણામે, ગંદુ પાણી લોકોના બાથરૂમ અને શૌચાલયમાંથી બહાર આવી રહ્યું છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ગંદકી ફેલાઈ રહી છે. ભરૂચ નગરપાલિકાએ આશરે દસ વર્ષ પહેલાં શહેરને સ્વચ્છ બનાવવા માટે ભૂગર્ભ ગટર યોજના અમલમાં મૂકી હતી. આ યોજના હેઠળ ગંદા પાણીના યોગ્ય નિકાલ માટે શહેરમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) સ્થાપિત કરવામાં આવ્યા હતા. શહેરના દરેક વોર્ડમાં પમ્પિંગ સ્ટેશન બનાવીને ગંદુ પાણી STP પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવે છે. વોર્ડ નંબર-1ના પોલીસ હેડક્વાર્ટર્સ વિસ્તારમાં આવેલા પમ્પિંગ સ્ટેશન મારફતે હલીમા, વસીલા, પોલીસ હેડક્વાર્ટર્સ, ગેલાની કુવા અને નર્મદા પાર્ક સહિતના વિસ્તારોનું ગંદુ પાણી નજીકના STP પ્લાન્ટ સુધી મોકલવામાં આવે છે. જોકે, આ પમ્પિંગ સ્ટેશન પર કોઈ કર્મચારી નિયુક્ત ન હોવાથી, પમ્પ ચાલુ હોય ત્યારે વીજ પુરવઠો ખોરવાતા અથવા પમ્પમાં ખામી સર્જાતા ગંદુ પાણી પાછું ફરે છે. આના પરિણામે, અનેક સ્થાનિકોના ઘરોમાં બાથરૂમ અને શૌચાલયમાંથી ગંદા પાણીનો બેકફ્લો થઈ રહ્યો છે. રસ્તાઓ પર પણ ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળાનો ભય પણ સેવાઈ રહ્યો છે. આ અંગે સ્થાનિક સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા STP પ્લાન્ટની યોજના લાવવામાં આવી ત્યારથી મીની પમ્પિંગ સ્ટેશન ઓવરફ્લો થાય છે. મોટરો બંધ પડ્યા પછી તેની જાળવણી માટે કોઈ કર્મચારી નથી. સ્થાનિકો તેમની પાસે ફરિયાદ લઈને આવે છે, ત્યારબાદ તેઓ પાલિકાને જાણ કરે છે અને પાલિકા એજન્સી દ્વારા કામ કરાવે છે. જોકે, પાલિકા દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. આ અંગે સ્થાનિકો અને પાલિકા સભ્યએ ચીમકી ઉચ્ચારી છે કે,જો આગામી બે દિવસમાં પમ્પિંગ સ્ટેશન પર કર્મચારી નિમણૂંક સહિત યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો તેઓ સ્વયં પમ્પિંગ સ્ટેશન બંધ કરવા મજબૂર બનશે. આ અંગે ભરૂચ નગરપાલિકાના વોટર વર્ક્સ એન્જિનિયર વિશ્વજીત રાઠોડ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે,આ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી એજન્સીને આપેલી છે. આ અંગેની અમને રજૂઆતો મળી છે જેથી એજન્સીના કોન્ટ્રાક્ટરને બોલાવી યોગ્ય કામગીરી કરવાની સૂચનાઓ આપવામાં આવનાર છે.
પાલનપુરમાં બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:પોલીસે બે આરોપી ઝડપી 99 હજારનો મુદ્દામાલ રિકવર કર્યો
પાલનપુર તાલુકા પોલીસે બનાસકાંઠા નેત્રમ શાખાની મદદથી રાત્રી ઘરફોડ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી કુલ 99,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના બાદ, પાલનપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડૉ. જે.જે. ગામીત અને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એચ.બી. ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. આશરે વીસ દિવસ પહેલા પાલનપુર તાલુકાના મેરવાડા ગામમાં એક રહેણાંક છાપરામાંથી રાત્રીના સમયે સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પાલનપુર તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે 100થી વધુ સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસ્યા હતા અને નેત્રમ શાખાના કેમેરાની મદદ લીધી હતી. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. આરોપીઓ ચિત્રાસણી તરફ આવવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી. ચિત્રાસણી પાસેથી આરોપીઓ કાસી સીતારામ આહીર (ઉં.વ. 35, રહે. સીતારામપુરા, તા. ઈસરદા, જિ. સવાઈમાધોપુર, રાજસ્થાન, હાલ રહે. ઈન્દિરાનગર કોલોની, હિગોનિયા, જયપુર) અને રાજેશ મોહનનાથ મોઢુનાથ જોગી (ઉં.વ. 29, રહે. નિવાઈ, તા. નિવાઈ, જિ. ટાંક, રાજસ્થાન, હાલ રહે. જગતપુર કોલોની, કચ્ચી બસ્તી, જયપુર) ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 82,000 રૂપિયા રોકડા અને 17,000 રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ 99,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
19 જાન્યુઆરીના રોજ સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે 21 કરોડના ખર્ચે બનાવેલી પાણીની ટાંકી અડધીપડધી ભરાઈ ત્યાં કડડડભૂસ થઈને તૂટી પડી હતી. આ દુર્ઘટનાની તપાસ કરતી બે પ્રતિષ્ઠિત સંસ્થાઓ સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT) અને ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GERI)એ તેમના લેબોરેટરી ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર કર્યા છે. આ રિપોર્ટના આંકડા માત્ર ચોંકાવનારા જ નહીં પરંતુ સરકારી કામોમાં થતા ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે. ભાસ્કરને હાથ લાગ્યા બંને એજન્સીના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે. બંને એજન્સીના લેબોરેટરી રિપોર્ટમાં ટાંકીના તમામ 13 સેમ્પ્લ નિર્ધારિત માપદંડોમાં નિષ્ફળ સાબિત થયા છે. ટાંકીના પાયાના બાંધકામમાં 30 ટકા જ સિમેન્ટ વપરાયો હોવાનું સામે આવ્યું છે. સરકારી કામના 100% સેમ્પલ ફેઈલતડકેશ્વર પાણીની ટાંકી દુર્ઘટનામાં લેવામાં આવેલા તમામ 13 નમૂનાઓ પરીક્ષણમાં નિષ્ફળ જતાં એન્જિનિયરિંગ જગતમાં ખળભળાટ મચી ગયો છે. SVNIT અને GERI જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓએ સ્પષ્ટ કર્યું છે કે બાંધકામમાં વપરાયેલું મટીરિયલ નિર્ધારિત M30 ગ્રેડના ધોરણોને ક્યાંય પણ સંતોષતું નથી. જ્યારે સરકારી કામમાં 100% સેમ્પલ ફેઈલ થાય, ત્યારે તે માત્ર તકનીકી ભૂલ નહીં પણ આયોજનબદ્ધ ભ્રષ્ટાચાર અને લોકોના જીવ સાથે થયેલા ગંભીર ચેડાં તરફ સીધો ઈશારો કરે છે. બાંધકામમાં વપરાયેલું મટીરિયલ 50 ટકા નબળુંગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GERI) ના ડેટા મુજબ, સાત સેમ્પલનું પરીક્ષણ કરાયું હતું. જેમાં C-4 ની સ્ટ્રેન્થ 15.64 (52.1%), C-5 ની 16.46 (54.8%) અને C-6 ની 14.83 (49.4%) નોંધાઈ છે. આ આંકડા દર્શાવે છે કે જે કોંક્રિટની મજબૂતી 30 હોવી જોઈએ, તે માંડ 15 ની આસપાસ પહોંચી શકી છે. એટલે કે, બાંધકામમાં વપરાયેલું મટીરિયલ પૂરતો સિમેન્ટ ન હોવાને કારણે 45% થી 50% જેટલું નબળું સાબિત થયું છે. સ્ટ્રક્ચરલ સેમ્પલ્સમાં 70% સુધીનો ગંભીર ઘટાડોટાંકીના પાયાના ભાગમાંથી લેવાયેલા S-4 થી S-7 સેમ્પલ્સની સ્થિતિ તો અત્યંત દયાજનક જોવા મળી છે. S-4 સેમ્પલ માત્ર 8.44 (28.1%), S-5 સેમ્પલ 8.76 (29.2%), S-6 સેમ્પલ 9.45 (31.5%) અને S-7 સેમ્પલ 9.48 (31.6%) ની મજબૂતી ધરાવે છે. આ સેમ્પલ્સમાં લક્ષ્યાંક સામે 70% જેટલો ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. આટલી હલકી ગુણવત્તાનું કોંક્રિટ પાણીના હજારો લિટર વજનને સહન કરવા માટે સક્ષમ નહોતું, જે દુર્ઘટનાનું મુખ્ય કારણ બન્યું. SVNITનો રિપોર્ટમાં ટેકનિકલ ધોરણોની અવગણનાSVNIT દ્વારા તપાસવામાં આવેલા 6 સેમ્પલમાં પણ ગંભીર ક્ષતિઓ સામે આવી છે. C1 સેમ્પલ 18.90 (63%), C2 સેમ્પલ 18.10 (60.3%) અને C3 સેમ્પલ 13.49 (44.9%) ની મજબૂતી ધરાવે છે. નિષ્ણાત ડૉ. અતુલ દેસાઈના મતે પાણીની ટાંકી જેવા મહત્વના સ્ટ્રક્ચરમાં જ્યારે સ્ટ્રેન્થ 60% થી ઓછી હોય ત્યારે તે જોખમી બને છે. આ આંકડા સાબિત કરે છે કે કોન્ટ્રાક્ટરે નફાખોરી માટે મટીરિયલની ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ બાકી રાખી નથી. સિમેન્ટના મિશ્રણમાં ગોબાચારી અને નબળું ટકાવારીSVNIT ના બાકીના ત્રણ સેમ્પલ S1, S2 અને S3 ના પરિણામો અનુક્રમે 17.13 (57.1%), 10.88 (36.2%) અને 8.13 (27.1%) નોંધાયા છે. આમાં S3 સેમ્પલ આખા પ્રોજેક્ટનું સૌથી નબળું સેમ્પલ છે જેની ગુણવત્તા લક્ષ્યાંક કરતા માત્ર 27% જ છે. આટલું ઓછું રિઝલ્ટ દર્શાવે છે કે કોંક્રિટમાં રેતી અને કપચીનું પ્રમાણ વધુ હતું, જ્યારે બાઈન્ડિંગ માટે જરૂરી સિમેન્ટનું પ્રમાણ નહિવત રાખવામાં આવ્યું હતું, જેના કારણે કોંક્રિટ પાવડરની જેમ તૂટી ગયું. સોઈલ ટેસ્ટના પરિણામો બાદ ફાઈનલ રિપોર્ટ રજૂ કરાશેSVNITના એક્સપર્ટ અને પ્રોફેસર કે જેઓએ રિપોર્ટ બનાવ્યો છે ડૉ. અતુલ દેસાઈએ જણાવ્યું કે હાલમાં માત્ર સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ (લોખંડ અને કોંક્રિટ) નો રિપોર્ટ તૈયાર થયો છે. ટાંકી ધરાશાયી થવા પાછળ માત્ર નબળું કોંક્રિટ જવાબદાર છે કે પછી જમીનની સ્થિતિ (Soil condition) પણ કારણભૂત છે, તે જાણવા માટે સોઈલ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. જો જમીન પોચી હોય અથવા પાયાનું કામ બરાબર ન થયું હોય, તો તેને કારણે પણ માળખું નમી શકે છે. સોઈલ ટેસ્ટના પરિણામો આવ્યા બાદ આ મામલે 'ફાઈનલ રિપોર્ટ' રજૂ કરવામાં આવશે. નિષ્ણાતોનો મત કોંક્રિટ ફેલ થવાના મુખ્ય કારણોએન્જિનિયરિંગની દ્રષ્ટિએ આટલા મોટા પાયે સેમ્પલ ફેલ થવા પાછળ નીચે મુજબના કારણો જવાબદાર હોઈ શકે છે. સ્ટીલ પાસ પણ કોંક્રિટ ફેલતપાસમાં એક વિચિત્ર તથ્ય સામે આવ્યું છે કે ટાંકીમાં વપરાયેલું લોખંડ (Steel) ગુણવત્તામાં પાસ થયું છે. પરંતુ સિવિલ એન્જિનિયરિંગના સિદ્ધાંત મુજબ, Composite Action મહત્વનું છે. જો લોખંડ મજબૂત હોય પણ કોંક્રિટ નબળું હોય, તો લોખંડને પકડ (Grip) મળતી નથી. પરિણામે, જ્યારે ટાંકીમાં પાણી ભરવામાં આવી, ત્યારે નબળા કોંક્રિટના કારણે લોખંડ પણ ભાર સહન ન કરી શક્યા અને આખું માળખું ધરાશાયી થયું. જવાબદારો સામે કડક કાર્યવાહીના સંકેતઆ બંને સંસ્થાઓના રિપોર્ટ હવે પોલીસ અને ઉચ્ચ સરકારી વિભાગોને સોંપવામાં આવ્યા છે. 100% સેમ્પલ ફેલ થવા એ કોઈ અકસ્માત નથી, પરંતુ એક સુનિયોજિત ગુનાહિત બેદરકારી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે કોન્ટ્રાક્ટર, સુપરવાઈઝિંગ એન્જિનિયર અને મટીરિયલ સપ્લાયર સામે કાયદાનો ગાળિયો કસાશે. આગામી તબક્કામાં સોઈલ એનાલિસિસ (જમીન પરીક્ષણ) નો રિપોર્ટ પણ આવશે, જેનાથી એ સ્પષ્ટ થશે કે પાયાની જમીનમાં કોઈ ખામી હતી કે નહીં. જોકે, હાલના રિપોર્ટે તો ભ્રષ્ટાચારની ગંધ આખા પંથકમાં ફેલાવી દીધી છે.
દેશની સુરક્ષા માટે અત્યંત સંવેદનશીલ ગણાતા સુરતના હજીરા ઔદ્યોગિક અને દરિયાઈ પટ્ટા પર સુરક્ષા એજન્સીઓ દ્વારા સતર્કતા વધારી દેવામાં આવી છે. હજીરા રો-રો ફેરી ટર્મિનલ અને આસપાસના દરિયાઈ કાંઠા વિસ્તારમાં ટાસ્ક ફોર્સ દ્વારા હાઈ એલર્ટ જાહેર કરી, મરીન કમાન્ડોની મદદથી વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી. દરિયાઈ લેન્ડિંગ અને ફિશિંગ પોઈન્ટ્સ પર બાજ નજરહજીરાના મહત્વના લેન્ડિંગ પોઈન્ટ્સ અને ફિશિંગ પોઈન્ટ્સ પર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીનો મુખ્ય હેતુ દરિયાઈ માર્ગે થતી કોઈ પણ પ્રકારની ઘૂસણખોરી અથવા શંકાસ્પદ પ્રવૃત્તિઓને રોકવાનો છે. મરીન સેક્ટર હજીરાના તમામ મરીન કમાન્ડોએ સંયુક્ત રીતે ફૂટ પેટ્રોલીંગ કરીને સમગ્ર વિસ્તારને સુરક્ષાના ઘેરામાં લીધો હતો. શંકાસ્પદ બોટ અને અવાવરૂ જગ્યાઓનું ચેકિંગઆ ઓપરેશન દરમિયાન મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા દરિયા કિનારે શંકાસ્પદ બોટો, અવાવરૂ જગ્યાઓ અને ખાડી વિસ્તારોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું. માત્ર દરિયો જ નહીં, પણ કિનારા પર ફરતા શંકાસ્પદ ઇસમો અને વાહનોની પણ સઘન પૂછપરછ અને તપાસ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ અને મરીન ટાસ્ક ફોર્સના આ સંકલિત અભિયાનથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઔદ્યોગિક એકમો અને કામદારોની ચકાસણીહજીરા વિસ્તાર એશિયાના સૌથી મોટા ઔદ્યોગિક હબ પૈકીનું એક છે, જ્યાં અનેક વિશાળકાય કંપનીઓ આવેલી છે. સુરક્ષાના ભાગરૂપે ટાસ્ક ફોર્સ દ્વારા આ કંપનીઓમાં કામ કરતા કામદારોની વિગતો અને ઓળખપત્રોની પણ તપાસ કરવામાં આવી હતી. સુરતની દરિયાઈ સીમાઓ સુરક્ષિત રહે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છે.
છોટાઉદેપુર જિલ્લા ભાજપે કેન્દ્રીય બજેટ 2026-27 ને આવકાર્યું છે. બજેટ રજૂ થયા બાદ દેશભરમાં તેની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ મીડિયા સમક્ષ બજેટની વિવિધ જોગવાઈઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2026-27નું આ બજેટ 'વિકસિત ભારત'ના સંકલ્પને સિદ્ધ કરનારું અને સર્વસમાવેશક છે. પ્રમુખ રાઠવાએ બજેટની પ્રશંસા કરતા કહ્યું કે, આમાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને ગરીબ વર્ગના કલ્યાણ માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ બજેટ દેશના અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડવાની સરકારની નેમ આ બજેટમાં સ્પષ્ટ દેખાય છે. જિલ્લાના વિકાસલક્ષી કાર્યો અને આદિવાસી વિસ્તારના ઉત્થાન માટે બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓ આવકારદાયક છે.
પંચમહાલ LCBએ હાંસાપુરથી પ્રોહિબિશનના નાસતા ફરતા આરોપીને પકડ્યો:શહેરા પોલીસ સ્ટેશનના વોન્ટેડને ઝડપાયો
પંચમહાલ LCBએ પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપી વિજયભાઈ ઉર્ફે ગટી રામાભાઈ પગીને હાંસાપુર ગામેથી ઝડપી પાડ્યો છે. આ આરોપી શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો. પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ સક્રિય છે. રેન્જ આઈ.જી. આર.વી. અસારી અને એસપી હરેશ દૂધાતની સૂચનાથી LCBએ આ કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી વિજયભાઈ ઉર્ફે ગટી રામાભાઈ પગી લાંબા સમયથી પોલીસને થાપ આપી ફરાર હતો. LCB પી.આઈ. એન.એલ. દેસાઈના માર્ગદર્શન હેઠળ LCBની ટીમ બાતમીદારો દ્વારા આરોપીની હિલચાલ પર નજર રાખી રહી હતી. LCB એ.એસ.આઈ. દિગ્પાલસિંહ દશરથસિંહને સચોટ બાતમી મળી હતી કે આરોપી હાંસાપુર ગામે પોતાના ઘરે હાજર છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપીને તેના ઘરેથી ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપીનો કબજો વધુ કાર્યવાહી માટે શહેરા પોલીસને સોંપવામાં આવ્યો છે.
વલસાડમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા:નેતાઓએ શ્રમિક શોષણ, વોટ ચોરીના આક્ષેપો કર્યા
ગુજરાતમાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં 'જન આક્રોશ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તર અને મધ્ય ગુજરાત બાદ આ યાત્રા દક્ષિણ ગુજરાતના વલસાડ પહોંચી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા. વલસાડમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ભાજપ સરકારની નીતિઓ સામે રોષ ઠાલવ્યો હતો. યાત્રા દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસ નેતાઓએ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કંપની માલિકો દ્વારા શ્રમિકોનું સતત શોષણ થઈ રહ્યું છે. લેબર એક્ટ અને ફેક્ટરી એક્ટના નિયમો હોવા છતાં કામદારોને તેમના હક્ક મળતા નથી. વધુમાં, ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગતથી લાખો મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવાનું 'ફોર્મ નંબર 7' દ્વારા ષડયંત્ર રચાઈ રહ્યું હોવાનો આક્ષેપ પણ કરાયો હતો. કોંગ્રેસ નેતાઓએ બજેટ પર કટાક્ષ કરતા કહ્યું કે સરકાર માત્ર ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે જ બજેટ બનાવે છે, સામાન્ય જનતા માટે તેમાં કંઈ જ નથી. સ્ટેજ પરથી સંબોધન કરતા નેતાઓએ આક્રમક તેવર બતાવ્યા હતા. તેમણે વલસાડના બ્રિજ અને સ્થાનિક સમસ્યાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ બ્રિજ જનતાના ટેક્સના પૈસાથી બન્યો છે, કોઈની જાગીર નથી. જો સરકાર તેને ખુલ્લો નહીં મૂકે તો કોંગ્રેસ પોતે આગળ આવીને લોકાર્પણ કરશે. વધુમાં, પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા થતી કથિત હેરાનગતિ સામે 'જેલ ભરો' આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. કોંગ્રેસ અગ્રણીઓએ જણાવ્યું કે, કામદારોના હક્ક માટે તેઓ રસ્તાથી લઈને સંસદ સુધી લડત આપશે અને ભાજપ સરકાર લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી હોવા છતાં તેઓ ડરશે નહીં.
ભારતીય સેનાની આર્ટિલરી રેજિમેન્ટની સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે પશ્ચિમી સરહદે ‘ભારત રણભૂમિ દર્શન’ કાર રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત-રાજસ્થાન સરહદે 3400 કિમી કાપી નવીદિલ્હી નેશનલ વોર મેમોરિયલે સમાપન થશે પવિત્ર યાત્રાધામ દ્વારકાથી તેલંગાણાના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ આ રેલીને ઝંડી બતાવી રવાના કરી હતી. ભારતીય નૌકાદળ અને સીમા સુરક્ષા દળ (BSF)ના સહયોગથી આયોજિત આ અભિયાન દેશના વીર સૈનિકોના સાહસ અને બલિદાનને સમર્પિત છે. તેલંગાણાના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ જણાવ્યું હતું કે, ભારતીય આર્ટિલરી રેજિમેન્ટે છેલ્લા બે દાયકાઓથી દેશની રક્ષા માટે અસાધારણ બલિદાન આપ્યું છે. ‘ભારત રણભૂમિ દર્શન’ જેવી પહેલ યુવાનોમાં સેના પ્રત્યે આદર અને એકતાની ભાવના મજબૂત કરે છે. દ્વારકાથી શરૂ થયેલી આ યાત્રા ભારતની આધ્યાત્મિક અને સૈન્ય શક્તિના સંગમનું પ્રતીક છે. 3400 કિલોમીટરની સફર અને રાષ્ટ્રીય એકતાનો સંદેશઆ કાર રેલી ગુજરાત અને રાજસ્થાનની પશ્ચિમી સરહદે 3400 કિલોમીટરથી વધુનું અંતર કાપી સીમા સુરક્ષા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ ફેલાવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ઐતિહાસિક રણભૂમિઓની મુલાકાત લેવાનો અને વિવિધ યુદ્ધ સ્મારકો પર શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાનો છે. યાત્રા દરમિયાન સૈન્ય ટુકડી સરહદી ગ્રામજનો, વીર નારીઓ અને ભૂતપૂર્વ સૈનિકો સાથે સંવાદ કરી તેમની સેવાઓ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરશે. આ યાત્રાનું સમાપન નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (નેશનલ વોર મેમોરિયલ) ખાતે થશે. વ્યૂહાત્મક અને આધ્યાત્મિક મહત્વદ્વારકાથી રેલીનો પ્રારંભ કરવાનું વિશેષ મહત્વ છે, જે ભારતની દરિયાઈ સીમાઓના રક્ષણમાં ભારતીય નૌકાદળની ભૂમિકાનું પ્રતીક છે. આ કાર્યક્રમમાં વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ, વહીવટીતંત્રના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં NCC કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાન નાગરિકોમાં રાષ્ટ્રીય ગૌરવ અને દેશપ્રેમની ભાવના મજબૂત કરવાની સાથે નવી પેઢીને સેનાના શૌર્યથી પરિચિત કરાવશે.
વેરાવળ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને પ્રભાસ પાટણ સામુહિક આરોગ્ય કેન્દ્રની રોગી કલ્યાણ સમિતિની બેઠક વેરાવળના નાયબ કલેક્ટર વિનોદ જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં બંને હોસ્પિટલોની કાર્યપદ્ધતિ, દર્દીઓને મળતી આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા, મશીનરી મેન્ટેનન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. નાયબ કલેક્ટર વિનોદ જોશીએ માહિતી આપતા જણાવ્યું કે વેરાવળ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં વાર્ષિક અંદાજે અઢી લાખ દર્દીઓ સારવાર મેળવે છે, જ્યારે પ્રભાસ પાટણ CHCમાં પચાસ હજારથી વધુ દર્દીઓ આરોગ્ય સેવાઓનો લાભ લે છે. દર્દીઓની સુખાકારી અને સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા રોગી કલ્યાણ સમિતિની રચના કરવામાં આવી છે, જે નિયમિતપણે બેઠકો યોજી નિર્ણયો લે છે. વેરાવળ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અદ્યતન લેબોરેટરી સુવિધા ઉપલબ્ધ છે, જ્યાં દર વર્ષે સાડા ચાર લાખથી વધુ લેબ ટેસ્ટ થાય છે. પ્રભાસ પાટણ CHCની લેબોરેટરીમાં વાર્ષિક પચાસ હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત, વેરાવળ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં વર્ષે 30 હજારથી વધુ એક્સ-રે થાય છે, જ્યારે પ્રભાસ પાટણ CHCમાં આશરે 2500 એક્સ-રે કરવામાં આવે છે. પ્રસૂતિ સેવાઓ અંગે નાયબ કલેક્ટરે જણાવ્યું કે વેરાવળ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દર વર્ષે 2200થી વધુ સફળ પ્રસૂતિ થાય છે, જ્યારે પ્રભાસ પાટણ CHC ખાતે આશરે 150 સફળ ડિલિવરી નોંધાય છે. બેઠક દરમિયાન, બંને હોસ્પિટલોમાં ઉપયોગમાં લેવાતા આધુનિક મશીનોની યોગ્ય સારસંભાળ અને સમયસર મેન્ટેનન્સ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. દર્દીઓને વધુ સુવિધાઓ મળે અને સેવાઓ વધુ સઘન બને તે દિશામાં આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. નાયબ કલેક્ટર વિનોદ જોશીએ વધુમાં જણાવ્યું કે દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારના વિશેષ પ્રોજેક્ટ હેઠળ વેરાવળ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની બાજુમાં 150 બેડની અદ્યતન સુવિધાયુક્ત નવી હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે. આ હોસ્પિટલ ટૂંક સમયમાં નાગરિકો માટે ખુલ્લી મુકવામાં આવશે. આ બેઠકમાં વેરાવળ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક ડૉ. જિગ્નેશ પરમાર સહિત બંને હોસ્પિટલોના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ દર્દીઓની સુખાકારી અને આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાનો હતો.
સાબરકાંઠાની અંડર-17 કરાટે ખેલાડી બિજલ ગજેન્દ્રસિંહ મકવાણાએ મહારાષ્ટ્રના બારામતી ખાતે યોજાયેલી નેશનલ સ્કૂલ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યું છે. આ સિદ્ધિ દ્વારા તેણે ગુજરાત અને સાબરકાંઠાનું ગૌરવ વધાર્યું છે. બિજલે 32 કિલો વજન ગ્રુપમાં આ મેડલ મેળવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન નેશનલ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 26 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા બારામતીના બુરહાનપુર પોલીસ સબ હેડક્વાર્ટર ખાતે અંડર-19 અને અંડર-17 ભાઈઓ તથા બહેનો માટે યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લા કરાટે એસોસિએશનના પ્રમુખ જુજારસિંહ કે. વાઘેલાએ બિજલના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત કરાટે ફેડરેશન દ્વારા પણ તેને શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
રાજકોટ મનપા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રાજમાર્ગો અને આંતરિક રસ્તાઓના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. જોકે આજે કામની ગુણવત્તામાં કોઈપણ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ સંકેત મ્યુનિસિપલ કમિશ્નરએ આપ્યો છે. આજે મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ વોર્ડ નં. 11માં આવેલા ભીમનગર ચોક વિસ્તારની અચાનક મુલાકાત લેવામાં આવી હતી. આ ઓચિંતી તપાસ દરમિયાન ડામર કામગીરીમાં ગંભીર પ્રકારની ગેરરીતિઓ અને બેદરકારી સામે આવી હતી. જેને લઈને મ્યુ. કમિશ્નરે તત્કાલ જવાબદાર કોન્ટ્રાક્ટર એજન્સી પ્રદીપ કન્સ્ટ્રક્શનને ડિબાર કરવા તેમજ આ કામના સુપરવીઝનમાં બેદરકારી રાખનાર એન્જિનિયર અને ફિલ્ડ એન્જિનિયરને પણ શો-કોઝ નોટિસ ફટકારી શિસ્ત ભંગના પગલાં લેવાની સૂચના આપી છે. મ્યુ. કમિશ્નરે દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ભીમનગર ચોકમાં તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે, ડામર રોડ બનાવવાની પ્રક્રિયામાં નિર્ધારિત કરેલા ટેકનિકલ માપદંડોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું. પોતે સ્થળ પર જઈને ડામરની જાડાઈ, રોડની સપાટીનું ફિનિશિંગ અને કામમાં વપરાયેલા મટિરિયલની ગુણવત્તાની ચકાસણી કરી હતી. પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું હતું કે ડામરનું સ્તર નક્કી કરેલા સ્પેસિફિકેશન મુજબ નહોતું, જે ભવિષ્યમાં રોડના આયુષ્ય પર માઠી અસર કરી શકે તેમ હતું. આ પ્રકારની બેદરકારીને કારણે પ્રદીપ કન્સ્ટ્રક્શનને મહાપાલિકાની યાદીમાંથી ડિબાર (કાળી યાદીમાં મૂકવા) કરવા માટે કેમ કાર્યવાહી ન કરવી તેવો ખુલાસો માંગતી નોટિસ આપવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ કડક કાર્યવાહી માત્ર કોન્ટ્રાક્ટર સુધી મર્યાદિત નથી રહી, પરંતુ સુપરવિઝનમાં નિષ્ફળ રહેલા મ્યુનિસિપલ અધિકારીઓ પર પણ જરૂરી પગલાં લેવાયા છે. જેમાં સમગ્ર કામગીરીની દેખરેખ માટે જવાબદાર ડેપ્યુટી એન્જિનિયર અને 11 માસના કરાર આધારિત ફિલ્ડ એન્જિનિયર દીપકભાઈ વસંતભાઈ ભોજાણીને પણ નોટિસ આપવામાં આવી છે. કમિશ્નરે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જ્યારે સરકારી નાણાંનો ઉપયોગ જનતાની સુવિધા માટે કરવામાં આવતો હોય, ત્યારે ફિલ્ડ પર તૈનાત એન્જિનિયરોની નૈતિક જવાબદારી બને છે કે તેઓ કામગીરીની ચોકસાઈ રાખે. આ જવાબદારી નહીં નિભાવે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તુષાર સુમેરાએ તમામ ઝોન અને વોર્ડના એન્જિનિયરોને કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે, રાજકોટના નાગરિકોને આપવામાં આવતી સુવિધાઓમાં કોઈપણ પ્રકારની ઢીલાશ સહન કરવામાં આવશે નહીં. અને જો ભવિષ્યમાં કોઈપણ પ્રોજેક્ટમાં ગુણવત્તાના પ્રશ્નો ઉભા થશે, તો માત્ર કોન્ટ્રાક્ટર નહીં સંબંધિત સુપરવાઈઝિંગ સ્ટાફ સામે પણ તત્કાલ શિક્ષાત્મક પગલાં ભરીને કાયમી અસર થાય તેવી કાર્યવાહી કરવામાં આવશે. મ્યુ. કમિશ્નર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી શહેરના અન્ય કોન્ટ્રાક્ટરો તેમજ બેજવાબદાર અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મ્યુ. કમિશ્નર તુષાર સુમેરા તેમજ મેયર નયનાબેન પેઢડીયાની સાથે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરને ગાંધીનગર બોલાવી ખાસ બેઠક યોજવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, પ્રજાને કોઈપણ મુશ્કેલી પડે તે ચલાવી લેવામાં આવશે નહીં. અને ગુણવત્તામાં કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરવા સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ બીજા જ દિવસે મ્યુ. કમિશ્નરે પણ એક ખાસ મિટિંગ બોલાવી અધિકારીઓને વિકાસકામો પર દેખરેખ રાખવા આદેશો આપ્યા હતા. જોકે આજરોજ મ્યુ. કમિશ્નરે ઓચિંતી મુલાકાત લેતા ડામર કામગીરીમાં નબળી ગુણવત્તા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટમાં દશનામ ગોસ્વામી સમાજ સેવા ટ્રસ્ટ, ચોટીલા દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગરના કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, ચોટીલા મામલતદાર અને ચોટીલા નગરપાલિકાને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. જેમાં અરજદાર તરફથી 15 જાન્યુઆરીએ હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર વહીવટી તંત્રએ શિયાળાની ઋતુમાં ગૌશાળાનો શેડ કાઢી નાખ્યો છે. ટ્રસ્ટે સ્વીકાર્યું હતું કે તેમનું બાંધકામ સરકારી જમીન ઉપર છે. પરંતુ 80 વર્ષથી તે જમીન ઉપર તેમનો કબજો છે અને તેમને કોઈ પણ નોટિસ આપવામાં આવી નથી. ચોટીલાની આ વિવાદિત જમીન ઉપર ગૌશાળા, નવગ્રહ મંદિર અને ધર્મશાળા આવેલ છે. 12 જાન્યુઆરીએ ધર્મશાળાને તોડી નાખવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા મંદિરને નહીં તોડવાની વાત કરાઈ છે, પરંતુ ગૌશાળા તોડવામાં આવી રહી છે. સામે સરકારી વકીલે જણાવ્યું હતું કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત તેઓને નોટિસ આપવામાં આવી હતી. જ્યારે ટ્રસ્ટનું કહેવું હતું કે તેમને કોઈ નોટિસ મળી નથી. કોર્ટે કહ્યું હતું કે શિયાળામાં તેઓ ગાય ક્યાં મૂકશે? 28 જેટલી ગાય ટ્રસ્ટ પાસે છે. શરૂઆતમાં કોર્ટે ગાયોને નુકસાન થાય નહીં અને ઓથોરિટીના વકીલને ઓફિસરોને પૂછવા કહ્યું હતું કે તેઓ શું કામ કરવાના છે અને જે પણ કામ કરવાના હોય તે કાયદા મુજબ જ કામ કરે. આ સાથે જ 15 જાન્યુઆરીના રોજ કોર્ટમાં ઓથોરિટીના વકીલે બપોરે 12.40 કલાકે બાહેધરી આપી હતી કે જે છે તે પરિસ્થિતિ જાળવવામાં આવશે. પરંતુ અરજદારના વકીલ ફરી હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત થયા અને જણાવ્યું હતું કે ડેપ્યુટી કલેક્ટર જાતે જ ઘણું બધું વિચારે છે. 12:40 વાગ્યે ટ્રસ્ટને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે કોઈ કાર્યવાહી આગળ કરાશે નહીં. પરંતુ 1 વાગ્યે ગૌશાળા તોડી પાડવાનો વિડીયો તેમના અસીલ તરફથી મળ્યો છે. JCB મશીનથી ગૌશાળા તોડવાની કામગીરી કરવામાં આવી છે. ડેપ્યુટી કલેક્ટર સરકારનું જોરદાર કામ કરવાનો દેખાડો કરે છે, કાયદો હાથમાં લે છે. ગાડીમાંથી ઉતરે એટલે સિંઘમના ગીતો વગાડે છે. જો કે સરકારી વકીલે કહ્યું હતું કે શેડ તોડ્યા પહેલા અરજદાર ગાયો લઈ ગયા હતા. જ્યારે અરજદારની કહેવું હતું કે બાહેંધરી આપ્યા બાદ પણ શા માટે ઓથોરિટીએ કાયદો હાથમાં લીધો? હાઈકોર્ટે પક્ષકારોને ગાયો માટે ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરીને તેના ફોટો કોર્ટ સમક્ષ મુકવા જણાવ્યું હતું. સાથે જ સ્ટેટસ કવો જાળવી રાખવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. 20 જાન્યુઆરી રોજ સુનાવણીમાં ટેમ્પરરી સ્ટ્રક્ચરના ફોટો કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. જ્યાં ફરીથી અરજદારે કહ્યું હતું કે તેમને કોઈ નોટીસ આપવામાં આવી નથી અને સીધા જ બાંધકામો તોડવાની કામગીરી હાથમાં લઈને ઓથોરિટી દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ ડેપ્યુટી કલેક્ટર દ્વારા કોર્ટ સમક્ષ જુઠ્ઠાણું મુકવામાં આવ્યું છે. જે 24 નવેમ્બર, 2025ની ડિમોલિશન ઓર્ડરની વાત કરવામાં આવે છે, તે અરજદારોને મળી જ નથી. પરંતુ કોર્ટમાં કાર્યવાહી હાથ ધરાતા 17 જાન્યુઆરી, 2026ના રોજ તેમને નોટિસ મળી હતી. જે પણ સાદી પોસ્ટથી મોકલવામાં આવી હતી. જો કે પોસ્ટ વિભાગના તારીખ મારેલા સિક્કાથી જાહેર થાય છે કે વહીવટી તંત્ર પોતાને સાચું સાબિત કરવા કોર્ટની પ્રોસિજર સાથે પણ રમત રમી રહ્યું છે. સરકારી વકીલે જણાવ્યું હતું કે લેન્ડ રેવન્યુ કોડ અંતર્ગત અરજદારે કેસ કર્યો હતો, જે પાછો ખેંચ્યો છે. અરજદારે જણાવ્યું હતું કે મામલતદાર તે વખતે પણ કોર્ટમાં હાજર રહ્યા હતા અને આગળ કશું નહીં થાય તેવી બાહેધરી આપી હતી. બાહેંધરી બાદ પણ ડિમોલિશન કરવામાં આવ્યું છે. તેના CCTV તેઓની પાસે છે. વળી કોર્ટને ગુમરાહ કરવા બીજા ડિમોલિશનના ફોટા કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યા હતા. કોર્ટને જણાવ્યું હતું કે કોર્ટમાં મેટર ચાલી હતીm આગળ કાર્યવાહી નહીં કરવાની બાહેધરી બાદ પણ ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારે ગૌશાળામાં ઘૂસીને તેને તોડી પાડી હતી. વળી કોર્ટ સમક્ષ ડેપ્યુટી કલેક્ટર ખોટું સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. 24 નવેમ્બર, 2025 ના હુકમને 17 જાન્યુઆરી, 2026ના રોજ અરજદારોને આપવામાં આવે છે. અરજદારોને સાંભળવાની કોઈ તક આપવામાં આવી નથી. ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર કાયદો હાથમાં લઈ રહ્યા છે. આ સમયે ઇન્ચાર્જ મામલતદાર કોર્ટમાં હાજર હતા. કોર્ટે ઇન્ચાર્જ મામલતદારને પૂછ્યું હતું કે તમે ઓર્ડર ક્યારેય પસાર કર્યો છે? જેના જવાબમાં ઇન્ચાર્જ મામલતદારે જણાવ્યું હતું કે તેઓએ 24 નવેમ્બર, 2025માં ઓર્ડર પાસ કર્યો હતો. જેથી કોર્ટે પૂછ્યું હતું કે શા માટે 2026નો હુકમ બતાવે છે. મામલતદારે કહ્યું હતું કે તે કારકુનની ભૂલ છે.અરજદારોને કાગળિયા રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. ત્યારે તેઓએ આ સરકારી જમીન હોવાનું જણાવ્યું હતું. જો કે કોર્ટે કહ્યું હતું કે તમે કોઈ પણ પ્રોસેડીંગ વગર ઓર્ડર કેવી રીતે કર્યો હતો ? તમે કેટલા વર્ષથી નોકરી કરો છો અને કેટલા વર્ષની નોકરી બાકી છે ? ત્યારે અરજદારે કહ્યું હતું કે તેઓ 10 વર્ષથી ડેપ્યુટી મામલતદાર તરીકે નોકરી કરે છે અને અત્યારે ઇન્ચાર્જ મામલતદાર છે અને 13 વર્ષથી નોકરી બાકી રહી છે. હાઇકોર્ટે લાલ આંખ કરત મામલતદારને જણાવ્યું હતું કે બાકીની 13 વર્ષ નોકરી કરવાની છે કે કેમ? કોઈ પણ પ્રોસિડીંગ વગર તમે જે હુકમ કર્યો છે તે શંકાસ્પદ છે. તમારી સામે શિસ્ત સંબંધી પગલા લેવા જોઈએ. હવે તમારે જવાબ આપવાનો છે કે પ્રોસેડિંગ કેમ ના થઈ? તમારી સામે ખાતાકીય પગલા લેવાઈ શકે છે. નોટિસ વગર તમે બાંધકામ તોડી નાખ્યું છે અને પછી તેને છુપાવવા હાઇકોર્ટમાં ત્રાગા કર્યા છે. તમને ભવિષ્યમાં સસ્પેન્ડ કરાઈ શકે છે. તમે કોર્ટ સમક્ષ પણ ખોટું બોલ્યા છો. ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને ભોગવવું પડશે. તમને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તેનો ખુલાસો આપો નહીં તો તમારી સામે તપાસના ઓર્ડર કરવામાં આવશે. આ અંગે વધુ સુનાવણી 09 ફેબ્રુઆરીના રોજ યોજાશે.
સુરત શહેરના વરાછા વિસ્તારમાં પારિવારિક કંકાસ અને સાસરીયા પક્ષના માનસિક-શારીરિક ત્રાસની એક કરુણ ઘટના સામે આવી છે. વરાછાના ‘એફિલ ટાવર’માં રહેતી 44 વર્ષીય પરણીતાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે અને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં પરિણીતાના માતાના રુદનતી સન્નાટો છવાઈ ગયો હતો. હાલ તો આ મામલે વરાછા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરિણીતાએ દવા પી લેતા સારવારમાં ખસેડાયા હતામળતી માહિતી પ્રમાણે, 44 વર્ષીય સીમાબેન સુનિલભાઈ વાઘાણી વરાછા સ્થિત 904-એફિલ ટાવરમાં પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પતિ અને બે પુત્ર છે. પતિ સુનિલભાઈ હીરાની કંપનીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સીમાબેને ગત રવિવારે (1 ફેબ્રુઆરી) પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટનાની જાણ થતા જ તેમને તાત્કાલિક સારવાર માટે વિનસ હોસ્પિટલ અને ત્યારબાદ સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું. 25 વર્ષથી સાસરીવાળા અસહ્ય ત્રાસ આપતા આ આત્મઘાતી ડગલું ભર્યુંઃ ભાઈમૃતક સીમાબેનના ભાઈ પરેશ તુલસીભાઈ સુતરીયાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, સીમાબેનને લગ્નના 25 વર્ષથી તેમના સાસરીયા પક્ષ દ્વારા સતત હેરાન કરવામાં આવતા હતા. ઘર કંકાસ અને સાસરીયાઓના અસહ્ય ત્રાસથી કંટાળીને આખરે સીમાબેને આ આત્મઘાતી ડગલું ભર્યું છે. મૃતકનો એક પુત્ર (24 વર્ષ) કેનેડામાં અભ્યાસ કરે છે, જ્યારે બીજો પુત્ર (22 વર્ષ) અહીં જ રહે છે. તેમના પતિ સુનિલભાઈ હીરાની ઓફિસમાં કામ કરે છે. પરિવારની મૃતદેહ સ્વીકારવાની આક્રમક માગસીમાબેનના પિયર પક્ષમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારજનોએ સ્પષ્ટ માગ કરી છે કે, સીમાબેનના આપઘાત પાછળ કયા કયા સભ્યો જવાબદાર છે, તેની તટસ્થ તપાસ થાય. જ્યાં સુધી ગુનેગારો સામે કડક કાર્યવાહી અને ન્યાય નહીં મળે, ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. વરાછા પોલીસે આ મામલે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાસરીયા પક્ષના નિવેદનો અને પિયર પક્ષના આક્ષેપોના આધારે પોલીસ આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. જોકે હોસ્પિટલ ખાતે પરિવારના હૈયાફાટના કારણે શોકનો માહોલ છવાઈ ગયો હતો. પતિ સહિત સાસરિયા અને અન્ય એક વ્યક્તિ ટોર્ચર કરતાઃ પરિજનપરેશભાઈ (પરિવારજન)એ જણાવ્યું હતું કે, ઝઘડો અવારનવાર એને થતો આવતો અને લગભગ મેરેજ લાઈફના 25 વર્ષ થયા છે અને અમને અવારનવાર આ બાબતે એ લોકો બોલાવતા. એમાં લાસ્ટ લગભગ મહિના દિવસની અંદર કે બહુ મોટા પાયે આ લોકોએ કંઈક ચાલુ કર્યું હતું. એમાંથી અમને એ લોકો અવારનવાર બોલાવીને ટોર્ચરિંગ કરતા હતા, એટલે અમે લોકોએ એવું ડિસાઈડ કર્યું કે, બેન આપણને ફોન કરે તો આપણે એનો ફોન રિસિવ કરવાનો. જમાઈ કે એના પપ્પા, એના મમ્મી અથવા એની નણંદ અથવા એક બીજી વ્યક્તિ એ લોકોએ રાખેલો છે કમલેશ નામ છે એનું અને 'યોગી ચશ્મા'ની દુકાન ચલાવે છે એ વ્યક્તિનો ફોન આવે તો આપણે ફોન રિસિવ નહીં કરવો. બેનનો ફોન આવશે તો કરશું. ‘ફોરેન્સિક રિપોર્ટ કરાવવો છે’વધુમાં જણાવ્યું હતું કે, આપઘાત કર્યો લગભગ રવિવારે કંઈક ઘટના બની છે. કેટલા વાગ્યે એ ટાઈમ આપણને નથી ખબર. આપણને જાણ મળી, એને લગભગ સાંજે એ લોકોએ જ્યારે હોસ્પિટલમાં જે-તે સમયે દાખલ કરી ત્યારે ફોન આવ્યો હતો કે સીમાએ આવું પગલું ભર્યું છે. અમારે એનો ફોરેન્સિક રિપોર્ટ કરાવવો છે. પોલીસ દ્વારા તો એ સમયે અમે પોલીસને જોયા નહોતા, અમે લોકો દોડીને હોસ્પિટલ ગયા ત્યાં તો બધી કાર્યવાહી પતી ગઈ હતી.
કડી-છત્રાલ હાઈવે પર પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવતી એક શાતિર ટોળકીનો કડી પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજકોટના એક ડ્રાઈવરને આંતરી, પોતે પોલીસ હોવાનું જણાવી માર મારીને એલ્યુમિનિયમના સ્ક્રેપ ભરેલી ગાડી લૂંટી લેવામાં આવી હતી. જોકે, પોલીસે 25થી વધુ CCTV કેમેરા તપાસીને બે આરોપીને દબોચી લીધા છે. ‘અમે પોલીસ છીએ, લાયસન્સ બતાવ’ બનાવની વિગતો મુજબ, રાજકોટના સુનિલ નટુભાઈ સોલંકી (ઉ.વ. 29) ગત 31 જાન્યુઆરીના રોજ કડીની 'એ.કે. ટ્રાન્સફોર્મર્સ' કંપનીમાંથી એલ્યુમિનિયમ સ્ક્રેપ ભરીને પોતાની બોલેરો પીકઅપ ગાડી (GJ-04-AW-1616) લઈને નીકળ્યા હતા. સાંજના સમયે કડી-છત્રાલ રોડ પર 'કમલા અમૃત ઇન્ડસ્ટ્રીઝ' પાસે એક જ્યુપિટર અને ઇકો કારમાં આવેલા ચાર શખસે તેમનો રસ્તો રોક્યો હતો. આ શખસોએ નકલી પોલીસ બની સુનિલ પાસે લાયસન્સની માંગણી કરી હતી અને ત્યાર બાદ તેમને અપશબ્દો આપી, ગડદાપાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ. 3 લાખની મત્તા (ગાડી અને સ્ક્રેપ) લૂંટીને ફરાર થઈ ગયા હતા. સીસીટીવી ફૂટેજની મદદથી ભેદ ઉકેલાયો આ ચકચારી લૂંટ બાદ પોલીસની અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી. પોલીસે હાઈવે પરના 25થી વધુ CCTV ફૂટેજ ખંગાળ્યા હતા, જેમાં લૂંટારુઓ અને ગુનામાં વપરાયેલું જ્યુપિટર સ્કૂટર કેદ થઈ ગયા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે 4 પૈકીના 2 આરોપીને ઝડપી પાડ્યા છે. મુદ્દામાલ રિકવર, બે આરોપી હજુ ફરાર પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલી બોલેરો પીકઅપ ગાડી અને એલ્યુમિનિયમ સ્ક્રેપ સહિતનો તમામ મુદ્દામાલ રિકવર કરી લીધો છે. હાલમાં આ ટોળકીના બાકીના બે ફરાર સાગરીતને પકડવા માટે પોલીસે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે પર રાત્રિના સમયે ડ્રાઈવરોએ સાવચેત રહેવા અને શંકાસ્પદ હિલચાલ જણાયે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
કલોલની કોર્ટે 17 વર્ષીય ભત્રીજી પર દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપી કાકાને આજીવન કેદની સજા ફટકારી છે. મેજિસ્ટ્રેટ બી.આર. રાજપુતે આ કેસના ચુકાદાની શરૂઆત આધ્યાત્મિક રીતે કરી હતી. તેમણે સંસ્કૃત શ્લોક દણ્ડઃ શાસ્તિ પ્રજાઃ સર્વા... ટાંકીને સમજાવ્યું હતું કે જ્યારે સમાજનો નિર્દોષ વર્ગ અસહાય કે, નિદ્રાધીન હોય ત્યારે કાયદાનો દંડ જ તેમનું રક્ષણ કરે છે. આ કેસમાં આજીવન કેદની સજા માત્ર સજા નથી પરંતુ સમાજ માટે એક સામાજિક ઉપચાર છે. કાકાએ ભત્રીજી સાથે બળજબરીપૂર્વક જઘન્ય કૃત્ય આચર્યુંઆ કેસની વિગતો મુજબ, માર્ચ 2023માં અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા 38 વર્ષીય રમેશે પોતાના જ કુટુંબની 17 વર્ષની સગીર ભત્રીજીને હવસનો શિકાર બનાવી હતી. આરોપીએ સગીરાને નોકરી અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લીધી હતી. બાદમાં રીક્ષામાં બેસાડી જાસપુર ગામની સીમમાં અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં ત્યાં આરોપી કાકાએ સગીરાની મરજી વિરુદ્ધ ત્રણથી ચાર વખત બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી જઘન્ય કૃત્ય આચર્યું હતું. આરોપીને આજીવન કેદ અને 50 હજારનો દંડ ફટકાર્યોઆ અંગે સાંતેજ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ દુષ્કર્મ સહિત પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હતો. જે કેસમાં પોલીસે જરૂરી પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જે.એચ. જોષીએ કોર્ટમાં દલીલો કરી હતી. ત્યારે ભોગ બનનાર સગીરાની જુબાની અને મજબૂત પુરાવાઓને ધ્યાને રાખીને કોર્ટે આવા ગુના કરનાર સામે જરા પણ દયા દાખવી શકાય નહીં તેવું નોંધીને આરોપીને આજીવન કેદની સજા અને 50 હજારનો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે. ઉપરાંત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફતે પીડિતાને 5 લાખ વળતર ચૂકવવા પણ આદેશ આપ્યો છે.
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતા અધિકારીઓએ 2 ફેબ્રુઆરી 2026ના રોજ બેંગકોકથી વિયેટજેટ એરની ફ્લાઇટ નં. VZ-570 દ્વારા આવેલી એક મહિલા મુસાફરને શંકાના આધારે અટકાવી હતી. 48 ગ્રામના 9 પેકેટ હાઈડ્રોપોનિક ગાંજો જપ્તતપાસ દરમિયાન મહિલાની મુસાફરી બેગમાંથી ખાદ્ય સામગ્રી અને ચોકલેટના 9 પેકેટો મળી આવ્યાં હતાં. આ પેકેટોની તલાશી લેતા તેમાંથી અત્યંત ચાલાકીપૂર્વક છુપાવવામાં આવેલો લીલા રંગનો પદાર્થ મળી આવ્યો હતો. પ્રારંભિક પરીક્ષણમાં 'હાઈડ્રોપોનિક્સ ગાંજો' હોવાનું સાબિત થયું છે. કસ્ટમ્સ વિભાગે કુલ 948 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત લાખોમાં હોવાનું મનાય છે. મહિલા મુસાફરની ધરપકડઆ મામલે NDPS એક્ટ, 1985ની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધીને મહિલા મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. આ નશીલા પદાર્થનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને તે કોને પહોંચાડવાનું હતું, તે દિશામાં વિભાગ દ્વારા વધુ તપાસ તેજ કરવામાં આવી છે.
હળવદ–વટામણ 765 KV પાવરગ્રિડ વીજ લાઈન મુદ્દે રાજ્યમાં વિવાદ ઊભો થયો છે. ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, વઢવાણ ગામની એક જમીન બાબતે કાયદાની પ્રક્રિયામાં ભેદભાવ રાખવામાં આવ્યો છે. આ મંજૂરી કેવી રીતે આપવામાં આવી?પાલભાઈ આંબલીયાના જણાવ્યા મુજબ વઢવાણ ગામના સર્વે નંબર 2602, ખાતા નંબર 2777, ક્ષેત્રફળ 23067 ચોરસ મીટરની જમીન (માલિક: પ્રકાશભાઈ પરસોત્તમભાઈ પટેલ) માટે 31 જાન્યુઆરી 2025ના રોજ વીજ લાઈન માટે ગેઝેટ નોટિફિકેશન જાહેર થયું હતું, ત્યારબાદ 4 માર્ચ 2025ના રોજ બિનખેતી માટે ઓનલાઈન અરજી કરાઈ અને 3 એપ્રિલ 2025ના રોજ બિનખેતી મંજૂર થઈ ગઈ, જે કાયદા વિરુદ્ધ હોવાનું તેમણે જણાવ્યું છે. તેમનો સવાલ છે કે ગેઝેટ નોટિફિકેશન બાદ બિનખેતી થઈ જ ન શકે તો આ મંજૂરી કેવી રીતે આપવામાં આવી? બિનખેતી હોવા છતાં કલેક્ટરની નોટિસમાં નામ આવ્યુંપાલભાઈ આંબલીયાએ વધુમાં જણાવ્યું કે, કંપની પાસેથી ખેડૂતોએ મેળવેલા દસ્તાવેજોમાં આ જમીન સાતમા ક્રમે દર્શાવાઈ છે અને કંપનીના દસ્તાવેજમાં “Prakash Varmora MLA (found NA land as per discussion)” જેવું લખાણ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, આ જમીનમાં 810 મીટર જેટલો tentative area દર્શાવાયો હોવાનું પણ તેમણે જણાવ્યું છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે, ટંકારા તાલુકાના જબલપુર ગામના ખેડૂતની જમીન ગેઝેટ નોટિફિકેશન પહેલાં બિનખેતી હોવા છતાં કલેક્ટરની નોટિસમાં નામ આવ્યું, જ્યારે આ કેસમાં ધારાસભ્યનું નામ નોટિસમાંથી બાકાત રાખવામાં આવ્યું, જે કાયદાની સમાનતા પર પ્રશ્ન ઊભો કરે છે. તેમની જમીનમાં પણ સરકાર તરફથી નોટિસ મળી છેઆ આક્ષેપો પર પ્રતિક્રિયા આપતાં ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ સ્પષ્ટતા કરી છે કે, તેમની જમીનમાં પણ સરકાર તરફથી નોટિસ મળી છે અને ધારાસભ્યને નોટિસ આપવામાં આવી નથી એવો આરોપ ખોટો છે. તેમણે જણાવ્યું કે, વીજ લાઈનની નીચે બાંધકામ કરી શકાય નહીં, પરંતુ બાકીની જમીન પર કાયદેસર રીતે બિનખેતી અને કામકાજ કરી શકાય છે. લોકો હલકી પ્રસિદ્ધિ માટે ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છેપોતાની જમીન રોડ ટચ હોવાનું જણાવી તેમણે કહ્યું કે સરકારને જરૂર પડે ત્યારે તે ગમે ત્યાંથી લાઈન પસાર કરે છે અને તેઓ 25–30 લાખ રૂપિયા માટે આવા કામ ન કરે એટલી તેમની પ્રતિષ્ઠા છે. 29 દિવસમાં બિનખેતી મંજૂરી મળવાના આક્ષેપ પર ધારાસભ્ય વરમોરાએ જણાવ્યું કે, ભાજપની સરકારમાં 15 દિવસમાં પણ બિનખેતી પ્રક્રિયા પૂર્ણ થાય છે અને કેટલાક લોકો હલકી પ્રસિદ્ધિ માટે વીડિયો બનાવી ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે. રાજકીય પ્રભાવ હેઠળ પ્રક્રિયા બદલાઈ રહી છે?તેમણે વધુમાં કહ્યું કે હાઈવે કે કેનાલ જમીનમાં નીકળે તો જમીનની કિંમત વધે છે, પરંતુ વીજ લાઈન નીકળે ત્યારે કિંમત ઘટે છે, તેથી ખેડૂતોને વીજ લાઈન બદલ પૂરતું અને યોગ્ય વળતર મળવું જોઈએ. વીજ લાઈન, ગેઝેટ નોટિફિકેશન, બિનખેતી મંજૂરી અને નોટિસમાં નામોને લઈને ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા આક્ષેપો અને ધારાસભ્યની સ્પષ્ટતા વચ્ચે હવે સૌથી મોટો સવાલ એ છે કે, શું કાયદો સૌ માટે સમાન છે કે પછી રાજકીય પ્રભાવ હેઠળ પ્રક્રિયા બદલાઈ રહી છે? આ મુદ્દે હવે તંત્રની ભૂમિકા પર સૌની નજર ટકેલી છે.
થોડા દિવસો પહેલાં જ 16 મુદ્દા સાથેનું બનાસકાંઠા, પાટણ તેમજ વાવ થરાદ જિલ્લાના ઠાકોર સમાજનું નવું બંધારણ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં લગ્નમાં ડીજે લઈને ના જવું સહિતના અનેક મહત્વના નિયમો બનાવવામાં આવ્યા છે. ત્યારે બે દિવસ અગાઉ ઉત્તર ગુજરાતના નામાંકિત કલાકાર ગબ્બર ઠાકોર તેમજ અર્જુન ઠાકોરના પરિવારમાં લગ્નમાં ડીજે લઈ જઈને બંધારણના નિયમોનો ભંગ થયો હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. હાલમાં ઠાકોર સમાજના આગેવાનો તેમજ કલાકરો એકબીજા પર આક્ષેપો કરતાં મામલો ગરમાયો છે. ગુજરાતના ઠાકોર સમાજમાં આક્રોશ: અગ્રણીવીડિયો વાયરલ થતાં ઠાકોર સમાજના અગ્રણી મુકેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છેકે, ઠાકોર સમાજના બંધારણના ઉપરવટ જઈ ગબ્બર ઠાકોર તેમજ અરજુન ઠાકોર અને તેમના પરિવારમાં લાઈવ વરઘોડા સાથે તેમના ઘરે પ્રસંગ કર્યો છે. જેને સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. દિયોદરના ઓગડ મહારાજની રાજકીય નેતા સંતો-મહંતો, રાજકીય આગેવાન સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો સાથે રહી 16 જેટલા મુદ્દાનું બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું અને ચુસ્ત પાલન પણ કરવામાં આવે તેવા પ્રયત્નો કર્યા હતા. આવતીકાલે કડક કાર્યવાહી કરશે: અગ્રણીબંધારણના નિયમ લાગુ થયા બાદ ઉત્તર ગુજરાતમાં મોટાભાગના ઠાકોર સમાજના પરિવારોમાં લગ્ન થયા છે તે બંધારણ મુજબ કરવામાં આવ્યા છે. દરેક ઠાકોર સમાજના આગેવાન હોય રાજકીય આગેવાન હોય કે કોઈપણ સમાજનો વ્યક્તિ હોય 16 મુદ્દાને ધ્યાને લઈ અને પોતાના ઘરે લગ્ન પ્રસંગ પૂર્ણ કર્યા છે. ગઈકાલે ડીસા તાલુકાના ઝાબડિયા ગામે કલાકાર અર્જુન ઠાકોર તેમજ ગબ્બર ઠાકોર તેમના પરિવારમાં ઠાકોર સમાજના બંધારણના ઉપરવટ જઈ જે કાર્યક્રમ કર્યો છે. તે સમાજનું બંધારણ માન્ય રાખ્યું નથી. તેમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આવતીકાલે 4 તારીખે સમગ્ર ઉત્તર ગુજરાતના આગેવાનો, બંધારણના આગેવાનો, જે સમિતિ રચેલી છે તેઓ ઝાપડિયા ગામે ભેગા થઈ સામાજિક રીતે દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કરશે. એક પણ નિયમોનું મેં ઉલ્લંઘન કર્યું નથી: અર્જુન ઠાકોરઆગેવાનોના નિવેદનો બાદ કલાકાર અર્જુન ઠાકોરની પણ એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમનું કહેવું છેકે, જે પ્રમાણે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોર તેમજ અરજુન ઠાકોરે ઠાકોર સમાજના બંધારણના નિયમોનું ઉલંઘન કર્યું છે. તો એ બંધારણમાં નક્કી થયેલા 16 નિયમોનું લિસ્ટ હું આ પોસ્ટ માં મુકું છું. તમે બધા વાંચી લેજો, જે ઠાકોર સમાજના 16 નિયમો બનાવવામાં આવ્યા છે. તેમાંથી એક પણ નિયમોનું મેં ઉલ્લંઘન કર્યું નથી. અમારા વિરોધીઓ વીડિયો બનાવીને કહે છે કે ઉલ્લંઘન કર્યું છે, પણ બધા આ પોસ્ટ વાંચજો અને જે આપણા 16 મુદ્દા છે જેમાં અમે એક પણ મુદ્દાનું ઉલ્લંઘન નથી કર્યું. તમે જે નિયમ બનાવ્યાં છે તે બધા વાંચી લો: ગબ્બર ઠાકોરતો બીજી તરફ કલાકાર ગબ્બર ઠાકોરની સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ છે. જેમાં કહે છે કે, અમે જાન લઈને આવ્યા છીએ. જેમાં અમે કોઈ નિયમ તોડ્યા નથી. જે પ્રમાણે સમાજનું બંધારણ છે તે પ્રમાણે અમે જાન લઈને આવ્યા છીએ. નિયમમાં એવું હતું કે સામે જાનમાં ડીજે લઈને ન જવું પણ અમે અત્યારે અહીંયા ડીજે લઈને આવ્યા નથી. અમારી સાથે સાથે એક અન્ય જાન પણ અહીં આવી છે. એ સામેથી ડીજે લઈને આવ્યા છે. માત્ર તમને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર જ દેખાય છે અને આ અમને હેરાન કરવાની વસ્તુ છે. અમારા ગામની પરંપરા મુજબ અમે ઉજવણી કરી છે. એમાં તમે દેશદ્રોહી ગદ્દાર જેવા શબ્દોનો ઉપયોગ કર્યા છે. જે પણ નિયમ કરો તો વિચારીને કરો અને ચોખવટ કરો, ડીજે અંદર એટલા બધા પ્રશ્નો હોય છે. લાઇવ ડીજે હોય છે, લગ્નનો પ્રોગ્રામ હોય છે, રમેણ હોય છે, સ્ટેજ શો હોય છે, તમે જે નિયમ બનાવ્યાં છે તે બધા વાંચી લો. સામેના પક્ષના ડીજે લઈને આવ્યા છે તે જોઈ લો તમે.
ગોધરા શહેરના મધ્યમાંથી પસાર થતી મેસરી નદી પ્રદૂષણ અને સ્થાનિક તંત્રની બેદરકારીને કારણે કચરાપેટીમાં ફેરવાઈ ગઈ છે. એક સમયે સ્વચ્છ વહેતી આ નદીએ તેની પવિત્રતા અને સુંદરતા ગુમાવી દીધી છે. હવે તે શહેરનો કચરો ઠાલવવાનું મુખ્ય સ્થળ બની ગઈ છે. નદીના પટમાં પાણીને બદલે ગંદકીના ગંજ અને કચરાના ઢગલા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે નદીમાં પાણી શોધવું પણ મુશ્કેલ બન્યું છે. મોટા પ્રમાણમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અને અન્ય કચરો પર્યાવરણ માટે મોટો ખતરો ઊભો કરી રહ્યો છે. શહેરની મધ્યમાંથી પસાર થતી આ મહત્વપૂર્ણ નદીની આવી દયનીય સ્થિતિ હોવા છતાં, સ્થાનિક તંત્ર દ્વારા તેની સુધારણા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી. તંત્રની બેદરકારીને કારણે નદીની સ્થિતિ સતત બગડી રહી છે. જો વહેલી તકે મેસરી નદીના પટની સફાઈ કરવામાં નહીં આવે અને કચરો નાખનારાઓ સામે કડક કાર્યવાહી નહીં થાય, તો આગામી સમયમાં આ નદીનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે.
શહેરના પાંચકુવા દરવાજા પાસે આવેલી હોટલમાં રૂમ ભાડે રાખી અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરવાનું કોલ સેન્ટર ખાડિયા પોલીસે ઝડપી પાડ્યું છે. બે આરોપીઓ હોટલમાં બેસીને અમેરિકન નાગરિકોને ફોન તેમજ મેસેજ કરી લોન મંજૂર કરાવવાનું કહેતા હતા, ત્યાર બાદ પોતાનો ક્રેડિટ સ્કોર ઓછો છે તેમ જણાવી અને ગિફ્ટ વાઉચર ખરીદાવતા હતા અને તેને બાદમાં કન્વર્ટ કરી પૈસા પડાવતા હતા. છેલ્લા ત્રણ દિવસથી હોટલમાં રોકાયા હતા અને અગાઉ પણ ગુજરાત રાજ્યની બહાર રહી કોલ સેન્ટર ચલાવતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ મુંબઈના યુવક સહિત ત્રણ લોકોની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસે હોટલ સંગમમાં તપાસ કરતા બે શખસો ઝડપાયાઇ ડિવિઝન એસીપી વાણી દુધાતે જણાવ્યું હતું કે, ખાડિયા પોલીસને બાતમી મળી હતી કે, સારંગપુર વિસ્તારમાં આવેલી હોટલ સંગમમાં કેટલાક લોકો ભાડે રૂમ રાખી અને કોલસેન્ટર ચલાવે છે. જેથી પોલીસે હોટલ સંગમમાં રૂમ નંબર 204માં તપાસ કરતાં 2 શખસ હાજર હતા. જેથી પોલીસે બંનેની પૂછપરછ કરતાં એક શખસે તેનું નામ ક્લેટન રોડ્રિક્સ (રહે. મુંબઈ) અને બીજાએ કપિલ પઢિયાર (રહે. મિરઝાપુર, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસને તેમની પાસેથી લેપટોપ અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેમાં તપાસ કરતા એપ્લિકેશન નાખવામાં આવેલી હતી અને ધવલ દરજી નામના વ્યક્તિનો નંબર મળી આવ્યો હતો. ફોન-મેસેજથી અમેરિકન નાગરિકોને લોન મંજૂર કરાવવાનું કહેતાપોલીસે બંનેની વધુ પૂછપરછ અને લેપટોપ તેમજ મોબાઇલ ફોનની તપાસ કરતા ધવલ દરજી પાસેથી અમેરિકન નાગરિકોનો ડેટા લેતા હતા. ત્યાર બાદ એક એપ્લિકેશન મારફતે તેઓ અમેરિકન નાગરિકોને કોલ અને મેસેજ કરીને લોન મંજૂર કરાવવાનું કહેતા હતા. ત્યાર બાદ તેમણે ક્રેડિટ સ્કોર ઓછો છે તેમ કહી અને લોન માટે ઇન્સ્યોરન્સ વગેરે કહી 150 અમેરિકન ડોલર ભરવા પડશે તેમ કહેતા હતા. ત્યાર બાદ તેમની પાસેથી હોલમાર્ક અને અલગ અલગ ગિફ્ટ વાઉચરો લેતા અને તેના નંબર મેળવી યુએસડીટી મારફતે ભારતીય નાણામાં ફેરવી એકાઉન્ટમાં જમા કરતા હતા. સમગ્ર મામલે ત્રણેય આરોપીઓની પૂછપરછ શરૂછેલ્લા ત્રણ દિવસથી હોટલ સંગમ ખાતે તેઓ રોકાયા હતા અને અમેરિકન નાગરિકોને ફોન તેમજ મેસેજ કરી છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ક્લેટન દ્વારા કોલ સેન્ટરની ટ્રેનિંગ મેળવેલી છે અને અગાઉ વારાણસી ખાતે પણ કોલ સેન્ટર ચલાવતા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે હાલ ત્રણે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
સ્વામિનારાયણ સંપ્રદાય અને હરિભક્તો માટે આ વર્ષ સુવર્ણ અક્ષરે લખાય તેવું ઐતિહાસિક છે. ભગવાન સ્વામિનારાયણે ઈ.સ. 1826માં મનુષ્ય માત્રના કલ્યાણ માટે 212 શ્લોકોબદ્ધ 'શિક્ષાપત્રી' ગ્રંથની રચના કરી હતી. આ પવિત્ર ગ્રંથના 200મા જયંતી વર્ષની વિશ્વભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જીવન જીવવાની ઉત્તમ કળાબે સદીથી આ આચારસંહિતા નૈતિકતા, સામાજિક સુમેળ અને આધ્યાત્મિકતાનો માર્ગ પ્રશસ્ત કરી રહી છે. શિક્ષાપત્રી માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની એક ઉત્તમ કળા છે, જેમાં વ્યક્તિ, પરિવાર અને સમાજ પ્રત્યેની ફરજોનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. લંડનમાં મૂળ હસ્તલિખિત શિક્ષાપત્રીના ઐતિહાસિક દર્શન આ ઉજવણીના ભાગરૂપે યુકેના બોલ્ટન સ્વામિનારાયણ ગાદી અને લંડન હેરો સ્વામિનારાયણ મંદિર ખાતે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. આ અવસરની સૌથી મોટી વિશેષતા એ હતી કે, ભગવાન સ્વામિનારાયણે પોતે જે હસ્તલિખિત શિક્ષાપત્રી તત્કાલીન બ્રિટિશ ગવર્નર સર જ્હોન મેલ્કમને ભેટ આપી હતી, તે મૂળ પ્રત લંડન હેરો મંદિરમાં દર્શનાર્થે લાવવામાં આવી હતી. આ ઐતિહાસિક ગ્રંથના દર્શન કરીને હજારો ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ભારત અને બ્રિટન વચ્ચેના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિનિમયનું આ પ્રતીક આજે પણ અકબંધ છે. વસંત પંચમીએ ગુંજી ઉઠ્યા 212 પવિત્ર શ્લોકો શિક્ષાપત્રી જયંતિની ઉજવણી જ્ઞાન અને પવિત્રતાના પર્વ વસંત પંચમીના દિવસે કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ભક્તિભાવપૂર્વક શિક્ષાપત્રી પૂજનથી થઈ હતી. ત્યારબાદ ઉપસ્થિત તમામ હરિભક્તોએ એકસાથે શિક્ષાપત્રીના તમામ 212 શ્લોકોનું સમૂહગાન કર્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ દિવ્યતાથી ભરાઈ ગયું હતું. આ પ્રસંગે અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી અને જણાવ્યું હતું કે જો સમાજ સત્ય, અહિંસા અને કરુણા જેવા શિક્ષાપત્રીના આદર્શોને અપનાવે તો વિશ્વમાં કાયમી શાંતિ સ્થપાઈ શકે છે. એકતા અને સૌહાર્દ સાથે પૂર્ણાહુતિ કાર્યક્રમના અંતે ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ હરિભક્તોએ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ ઉત્સવે વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કારોની સુવાસ ફેલાવી છે. 200 વર્ષ પછી પણ ભગવાન સ્વામિનારાયણની આ શિક્ષાઓ એટલી જ પ્રાસંગિક છે, જે આવનારી અનેક પેઢીઓને સદાચારનો માર્ગ બતાવતી રહેશે.દિવ્ય ભાસ્કર માટે લંડનથી સૂર્યકાંત જાદવાનો રિપોર્ટ
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (MSU) ના વિદ્યાર્થીઓએ કેમ્પસની એક બિનઉપયોગી અને ખાલી પડી રહેલી જગ્યાને રસોડાના બગીચાના (Kitchen Garden) જીવંત મોડેલમાં પરિવર્તિત કરી છે. ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ફેકલ્ટીના ફેમિલી એન્ડ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શરૂ કરાયેલ આ પહેલ શહેરી વિસ્તારોમાં ઘટતી જગ્યા અને ટકાઉ જીવનશૈલીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવી છે. આ પ્રોજેક્ટ દ્વારા કેમ્પસના વેસ્ટ ઝોનને શૈક્ષણિક ગ્રીન ઝોનમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ મેળવ્યું પ્રાયોગિક શિક્ષણ ઇન્ટિરિયર ડિઝાઇનના વિદ્યાર્થીઓ માટેના લેન્ડસ્કેપિંગ અને ગાર્ડનિંગ અભ્યાસક્રમના ભાગરૂપે, આ પ્રોજેક્ટનું નેતૃત્વ ડો. સરજૂ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં ડો. ખ્યાતિ ત્રિવેદી, કોમલ પરમાર, જાહ્નવી લુહાર અને કવિતા શાહનો મહત્વનો સહયોગ રહ્યો હતો. વિદ્યાર્થીઓએ આ બગીચામાં વર્ટિકલ ગાર્ડનિંગ, ગ્રોથ બેગનો ઉપયોગ, ઓર્ગેનિક કમ્પોસ્ટિંગ અને મર્યાદિત જગ્યાનો કાર્યક્ષમ ઉપયોગ જેવી આધુનિક પદ્ધતિઓનો જાતે અનુભવ મેળવ્યો હતો. આત્મનિર્ભરતા અને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આ રસોડાનો બગીચો એક જીવંત પ્રયોગશાળા તરીકે કાર્ય કરી રહ્યો છે, જ્યાં વિદ્યાર્થીઓએ માટીની તૈયારી, યોગ્ય છોડની પસંદગી અને કુદરતી જીવાત નિયંત્રણ જેવી બાબતો શીખી છે. ડો. સરજૂ પટેલે જણાવ્યું હતું કે, “આ બગીચો માત્ર ખેતીનું સ્થળ નથી પણ શીખવાનું કેન્દ્ર છે. વિદ્યાર્થીઓ માટીથી લઈને પાક સુધીની પ્રક્રિયામાં જોડાઈને આત્મનિર્ભરતાનું મહત્વ સમજ્યા છે.” અન્ય સંસ્થાઓ માટે પ્રેરણારૂપ મોડેલ આ સફળ પહેલ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ એક સરળ અને વ્યવહારુ મોડેલ પૂરું પાડે છે. તે સાબિત કરે છે કે શાળાઓ અને કોલેજો શૈક્ષણિક જગ્યાઓનો ઉપયોગ કરીને પર્યાવરણીય જાગૃતિ અને સ્વસ્થ આહારના અભિયાનને વેગ આપી શકે છે.
ભાવનગર પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ વિભાગ દ્વારા વિદ્યાનગર પોલીસ લાઈનમાં આવેલ માઉન્ટેડ ક્વાટર્સમાં રાખવામાં આવેલ નેત્ર કેમેરા તથા અન્ય એસેસરીઝ મળી કુલ રૂપિયા 1,75,000 ની કિંમતના મુદ્દામાલની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ફરાર થઈ જતા આ અંગે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી હતી, આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર પોલીસ તંત્રના વાયરલેસ વિભાગમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ધર્મદીપ મહાવીરભાઈ ગોહિલ એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, વિદ્યાનગર પોલીસ લાઈનમાં આવેલ માઉન્ટેડ કોન્ડમ ક્વાર્ટર્સમાં 36 ફિક્સ કેમેરા નેત્ર વિભાગના, એક પીટીઝેડ કેમેરા સર્વર બે નંગ તથા અન્ય એસેસરીઝ અને હાર્ડ ડિસ્ક 10 સહિત કુલ રૂપિયા 1,75,000 ના મુદ્દામાલની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ફરાર થઈ ગયો હતો આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ લાઈન જેવા સુરક્ષિત ગણાતા વિસ્તારમાં સરકારી સામાનની ચોરી થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે, હાલમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, નવાઈની વાત એ છે કે જે કેમેરા શહેરની સુરક્ષા કરે છે, તેના જ સ્ટોર રૂમમાં તસ્કરોએ ગાબડું પાડ્યું છે.
અમદાવાદમાં 20થી 40 વર્ષની વયના યુવાનોમાં રુમેટોઇડ આર્થરાઇટિસ એટલે કે રેઇઝમેટોઇડ ગઠિયાના કેસોમાં ભયાનક વધારો નોંધાયો છે. રુમેટોલોજીસ્ટ્સના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં આ રોગના કેસોમાં લગભગ 10 ગણો વધારો થયો છે. ખાસ કરીને મહિલાઓમાં આ રોગ વધુ જોવા મળે છે, જેમાં પુરુષોની તુલનાએ મહિલાઓનો રેશિયો 4:1 છે. પ્રી-કોવિડ સમયમાં પણ કેસોમાં વધારો જોવા મળતો હતો, પરંતુ કોવિડ બાદ આ વધારો ડ્રામેટિક રીતે વધી ગયો છે. તપાસમાં 40% દર્દીઓમાં રુમેટોઇડ આર્થરાઇટિસની પુષ્ટિ SVP હોસ્પિટલના વાઇસ પ્રેસિડન્ટ અને રુમેટોલોજિસ્ટ ડૉ. સપન પંડ્યાના જણાવ્યા મુજબ, અમદાવાદની મ્યુનિસિપલ અને સિવિલ હોસ્પિટલોમાં આવેલા રુમેટોલોજી વિભાગો પર ભારે દબાણ છે. તપાસ અને બ્લડ ટેસ્ટ્સ બાદ અંદાજે 40 ટકા દર્દીઓમાં રુમેટોઇડ આર્થરાઇટિસની પુષ્ટિ થાય છે. ડૉક્ટરો જણાવે છે કે, સ્ટ્રેસ, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, ખરાબ ખાવાની આદતો, તમાકુનું સેવન અને પર્યાવરણીય પરિબળો આ રોગના મુખ્ય કારણો છે. ‘જોઇન્ટ પેઇન 3 અઠવાડિયાથી વધુ રહે તો રુમેટોલોજિસ્ટની સલાહ લેવી જરૂરી’રુમેટોલોજી એસોસિએશન ઓફ ગુજરાતના પ્રેસિડન્ટ ડૉ. રીના શર્માએ જણાવ્યું કે, સમગ્ર ભારતમાં રુમેટોઇડ આર્થરાઇટિસના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને ગુજરાતમાં પણ સમાન વલણ જોવા મળી રહ્યું છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, જો જોઇન્ટ પેઇન ત્રણ અઠવાડિયાથી વધુ સમય સુધી રહે તો તાત્કાલિક રુમેટોલોજિસ્ટની સલાહ લેવી જરૂરી છે. અમદાવાદમાં રુમેટોલોજિસ્ટ્સની તીવ્ર અછતને કારણે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળે છે, જેના કારણે સારવારમાં વિલંબ થઈ રહ્યો છે. વ્યસન છોડી સ્વસ્થ આહાર તરફ વળવા અપીલડૉક્ટરો અને આરોગ્ય નિષ્ણાતોએ જનતાને અપીલ કરી છે કે સ્મોકિંગ અને તમાકુનું સેવન તાત્કાલિક છોડવું, સ્ટ્રેસ ઘટાડવો, નિયમિત વ્યાયામ કરવો અને સ્વસ્થ આહાર અપનાવવો અત્યંત જરૂરી છે. જો જોઇન્ટમાં સોજો, સખતપણું અથવા દુખાવા જેવા લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર તરત જ ડોક્ટરને મળવું જોઈએ, નહીં તો રોગ વધુ ગંભીર બની શકે છે.
અમદાવાદના શાહપુર વિસ્તારમાંથી પોલીસે 350 કિલો જેટલું ગૌવંશ ઝડપી પાડ્યું છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. શાહઆલમના મિલ્લતનગર ખાતેથી તોફિક નામનો વ્યક્તિ આ ગૌ માંસ આપી ગયો હોવાનું બહાર આવ્યું છે. વેચાણ માટે ગૌ માંસ લાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી જથ્થો આપનારની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર પશુ માંસનો જથ્થો રાખ્યોશાહપુર પોલીસને બાતમી મળી હતી કે ફકીરા શેઠના ડેલાની સામે રહેતા અબ્દુલ રજાક કુરેશી નામના વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર પશુ માંસનો જથ્થો રાખવામાં આવ્યો છે. જેથી પોલીસ દ્વારા આ જગ્યા ઉપર તપાસ કરવામાં આવી હતી ત્યારે મોહમ્મદ તાસીન નામનો વ્યક્તિ ત્યાં હાજર હતો. કોથળાઓમાથી 350 કિલો જેટલું પશુ માંસ મળ્યુંઆ જગ્યા ઉપર એક ઓસરી આવેલી હતી ત્યાં છ ફૂટની પાળી હતી અને પડદો બાંધેલો હતો તેમાં અલગ અલગ કોથળા પડ્યા હતા જે ખોલીને જોતા તેમાં પશુ માંસ હતું. આ માંસનો જથ્થો મળી આવ્યો હતો જેથી તેને એફએસએલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો અલગ અલગ કોથળાઓ મળીને કુલ 350 કિલો જેટલું પશુ માંસ મળી આવ્યું હતું. બે શખ્સો સામે ગુનો નોંધાયોપોલીસે મોહમ્મદ તાસીનની પૂછપરછ કરી હતી જેમાં જથ્થો કોણ આપી ગયું હતું ત્યારે તેણે જણાવ્યું હતું કે દાણીલીમડાના શાહઆલમ પાસે મિલ્લતનગરમાં રહેતો તોફીક કુરેશી નામનો વ્યક્તિ સેન્ટ્રો ગાડીમાં આ જથ્થો આપીને ગયો હતો. આ પશુ માંસનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો અને FSLમાં મોકલવામાં આવ્યો હતો. જેમાં ગૌવંશ હોવાનું સામે આવ્યું હતું, જેથી આ મામલે શાહપુર પોલીસે મોહમ્મદ તાસીન અને તોફીક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે તાસીનની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
ભરૂચ LCBએ ₹5.26 લાખનો દારૂ ઝડપ્યો:શુકલતીર્થ ગામમાંથી બુટલેગર ઝડપાયો, એક વોન્ટેડ
ભરૂચ LCB પોલીસે શુકલતીર્થ ગામની સીમમાંથી ₹5.26 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરાયો છે. LCB પી.આઈ. એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ભરૂચ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, શુકલતીર્થ ગામના બુટલેગર કાર્તિકકુમાર સુરેશ પટેલ દ્વારા ગામની સીમમાં આવેલા એક મિત્રના ખેતરના મકાન પાછળ મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સંતાડવામાં આવ્યો છે અને તેની સગેવગે કરવામાં આવી રહી છે. બાતમીના આધારે LCB ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કાર્તિક પટેલ પ્લાસ્ટિકની થેલીઓમાં વિદેશી દારૂની સગેવગે કરતો રંગેહાથ ઝડપાઈ ગયો હતો. સ્થળ પરથી કુલ 1764 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹5.26 લાખ થાય છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત આરોપી પાસેથી બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા હતા. આમ, કુલ ₹6.86 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે કાર્તિકકુમાર સુરેશ પટેલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે, આ વિદેશી દારૂનો જથ્થો કોસંબા વિસ્તારના બુટલેગર જીજ્ઞેશ ઉર્ફે જીગો અવધૂત પટેલ દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો. પોલીસે જીજ્ઞેશને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેની ધરપકડ માટે સઘન શોધખોળ શરૂ કરી છે. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા જોલવા વિસ્તારમાં શ્રમિકોના જીવના જોખમે કરાતા પરિવહનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા ચકચાર મચી છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, વિવિધ કંપનીઓમાં કામ કરતા મજૂરોને એક આઈસર ટેમ્પામાં ઘેટા-બકરાની જેમ ખીચોખીચ ભરીને અસુરક્ષિત રીતે લઈ જવામાં આવી રહ્યા છે. સુરક્ષાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘનરોજિંદી મજૂરી કરી પેટિયું રળતા આ કામદારોના પરિવહન માટે કંપની કે કોન્ટ્રાક્ટરો દ્વારા સુરક્ષાના લઘુત્તમ ધોરણોનું પણ પાલન કરવામાં આવતું નથી. ટ્રાફિક નિયમો અને શ્રમ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરીને ક્ષમતા કરતા વધુ મજૂરોને વાહનમાં ભરવામાં આવે છે. જો આવી સ્થિતિમાં વાહન પલટી જાય કે અન્ય કોઈ અકસ્માત સર્જાય, તો મોટી સંખ્યામાં જાનહાનિ થવાની શક્યતા રહેલી છે. પ્રશાસનની ભૂમિકા સામે સવાલોમાનવ સુરક્ષાના ગંભીર જોખમ વચ્ચે આ પ્રકારનું પરિવહન લાંબા સમયથી ચાલતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તેમ છતાં, સ્થાનિક વહીવટી તંત્ર કે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ હવે લોકોમાં પ્રશાસનની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે. કાયદેસરની કાર્યવાહીની માગસ્થાનિક લોકો અને જાગૃત નાગરિકો દ્વારા માગ કરવામાં આવી રહી છે. RTO વિભાગ દ્વારા આવા જોખમી વાહનોનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવે. પોલીસ તંત્ર દ્વારા જવાબદાર વાહન ચાલકો અને કોન્ટ્રાક્ટરો સામે ગુનો દાખલ કરવામાં આવે. કંપની માલિકોને શ્રમિકોની સુરક્ષિત અવરજવર માટે કડક સૂચના આપવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે આ વાઈરલ વીડિયોના આધારે સત્તાવાળાઓ જાગે છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવે છે.
રાજકોટના ગોંડલ ચોકડી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં સેલ્ફી અને સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવવાના ક્રેઝે બે મિત્રોનો જીવ લીધો છે. માલધારી ફાટક પાસે રેલવે ટ્રેક પર ઉભા રહીને ફોટા પડાવવા ગયેલા મિત્રોને એ વાતનો અંદાજ પણ નહોતો કે સામેથી આવી રહેલી વંદે ભારત ટ્રેન તેમની જિંદગીની છેલ્લી ક્ષણ સાબિત થશે. આ અકસ્માતમાં 20 વર્ષીય સંદીપ પટેલ અને 23 વર્ષીય સંદીપ કોહરી નામના બે યુવાનોના માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાથી કરુણ મોત નીપજ્યા હતા. જેને લઈ બે પરિવારોએ પોતાના ઘરના ચિરાગ ગુમાવ્યા હતા. આ અંગે આજીડેમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ સોમવારની સાંજે રાજકોટના ગોંડલ ચોકડી નજીક આવેલા રાજકમલ ફાટકથી માલધારી ફાટક વચ્ચે આ કરુણાંતિકા સર્જાઈ હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને રાજકોટમાં કારખાનામાં મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા યુવાનો મિત્રો સાથે રેલવે ટ્રેક પર સેલ્ફી લેવા ગયા હતા. તે સમયે પોરબંદર તરફથી રાજકોટ આવી રહેલી વંદે ભારત ટ્રેનની અડફેટે આ યુવાનો આવી ગયા હતા. વંદે ભારત જેવી હાઈ-સ્પીડ ટ્રેનનો વેગ એટલો પ્રચંડ હતો કે યુવાનોને બચવાની કોઈ તક મળી નહોતી. આ ઘટનામાં કુલદીપ નામનો યુવાન ચમત્કારિક રીતે બચી ગયો છે, જે આ સમગ્ર ઘટનાનો પ્રત્યક્ષદર્શી પણ છે. કુલદીપના જણાવ્યા અનુસાર, તમામ મિત્રો સાંજના સમયે ટ્રેક પર ફોટા લઈ રહ્યા હતા ત્યારે અચાનક ટ્રેન આવી પહોંચી હતી. આ અકસ્માતમાં કપિલદેવ પટેલ નામનો અન્ય એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જે હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે. ઘટનાની જાણ થતા જ આજીડેમ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સમગ્ર મામલે એસીપી ભાવેશ જાધવના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ આ મામલે બીએનએસએસની કલમ 194 મુજબ અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર્ડ કર્યો છે. મૃતક યુવાનોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે, જેઓ દૂર ઉત્તર પ્રદેશમાં પોતાના સંતાનોની કમાણી અને ઉજ્જવળ ભવિષ્યની આશા રાખીને બેઠા હતા. તેમના માટે આ સમાચાર વજ્રપાત સમાન સાબિત થયા છે. ACP ભાવેશ જાધવે જણાવ્યું હતું કે, ઘટના ગઈકાલે સાંજે ગોંડલ ચોકડી પાસે આવેલા રાજકમલ ફાટકથી માલધારી ફાટક વચ્ચે બની હતી. આ મામલે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં પ્રત્યક્ષદર્શી કુલદીપનું નિવેદન પણ લેવામાં આવ્યું છે, જેમાં તેણે ઘટનાનું વિગતવાર વર્ણન કર્યું હતું કે કઈ રીતે યુવાનો સેલ્ફી લેવાના ચક્કરમાં ટ્રેનની નજીક આવી ગયા હતા. ભાવેશ જાધવે વધુમાં ઉમેર્યું હતું કે, આજકાલ રીલ કે સેલ્ફીના ક્રેઝમાં યુવાનો પોતાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે, તેમણે પોતાના જીવની સાથે પોતાના પરિવારનો પણ વિચાર કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, આ ઘટના સમાજ માટે એક લાલબત્તી સમાન છે. આજના યુગમાં સોશિયલ મીડિયા પર ફેમસ થવાની અને જોખમી સેલ્ફી લેવાની ઘેલછા યુવાનોમાં એટલી હદે વધી ગઈ છે કે તેઓ પોતાના જીવની પણ પરવા કરતા નથી. રેલવે ટ્રેક કે ઉંચી ઈમારતો પર ફોટા પડાવવા એ સાહસ નથી પણ મૂર્ખામી છે, જેની કિંમત આખા પરિવારે ચૂકવવી પડે છે. પોલીસ અને તંત્ર દ્વારા પણ વારંવાર અપીલ કરવામાં આવે છે કે પ્રતિબંધિત વિસ્તારોમાં આવા જોખમો ન ખેડવા, છતાં આવી ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી.
વાલેવડા દારૂ પ્રકરણના વિરોધમાં રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજ અને માં દેવી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ માંડલ દ્વારા પાટડીમાં બાઈક રેલી યોજવામાં આવી હતી. આ રેલી બાદ પાટડી સેવા સદન ખાતે નાયબ મામલતદાર એચ.એમ. કુરેશીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ ઘટનાક્રમ દરમિયાન ક્ષત્રિય ઠાકોર સેનાના ગુજરાત પ્રમુખ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ પાટડી ખાતે ઉપસ્થિત હતા. તેઓ ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપપ્રમુખ ચુડાજી મણાજી ઉર્ફે ગોગી ઠાકોરના બેસણામાં હાજરી આપવા આવ્યા હતા. વાલેવડા દારૂ પ્રકરણ બાબતે વાલેવડાના એક અરજદાર દ્વારા અલ્પેશ ઠાકોરને રજૂઆત કરવામાં આવી હતી. જોકે, અલ્પેશ ઠાકોરે આ અંગે કોઈ સીધી પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું, પરંતુ અરજદારને આશ્વાસન આપવામાં આવ્યું હતું. રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજના અધ્યક્ષ રમેશજી ઠાકોરે આ સમગ્ર પ્રકરણ અંગે નિવેદન આપ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા અને કોડીનાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. અંદાજે 1થી 1.5 ઇંચ જેટલા વરસાદને કારણે રવિ સિઝનના મુખ્ય પાક એવા ઘઉં અને બાજરીને વ્યાપક નુકસાન થયું છે. આ ઉપરાંત, પ્રદેશની ઓળખ સમાન કેસર કેરીના આંબા પર પણ માવઠાની ગંભીર અસર જોવા મળી છે. ખેતરોમાં પાક ઢળી પડ્યો, લણણી અશક્યભુવાટીંબી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પ્રકોપ સૌથી વધુ જોવા મળ્યો છે. અડધીથી 1 કલાક સુધી ચાલેલા વરસાદને કારણે તૈયાર થયેલો ઘઉંનો પાક ખેતરોમાં જ જમીનદોસ્ત થઈ ગયો છે. ખેડૂતોના મતે, આ પાક હવે કાપણી માટે યોગ્ય રહ્યો નથી. પાંચ મહિનાની રાત-દિવસની મહેનત બાદ જ્યારે પાક લેવાનો સમય આવ્યો ત્યારે જ કુદરતે કહેર વર્તાવતા ખેડૂતો આર્થિક મુસીબતમાં મુકાયા છે. મજૂરી કાઢવી પણ મુશ્કેલ: ખેડૂતોની વેદના સ્થાનિક ખેડૂત વરજંગ ઝનકાતના જણાવ્યા અનુસાર, વરસાદે આખા રવિ પાકને બરબાદ કરી દીધો છે અને હવે ઘઉંની લણણી શક્ય નથી. અન્ય એક ખેડૂત સુરસીંગ ડોડીયાએ જણાવ્યું કે, દિવાળી દરમિયાન મગફળીના પાકમાં નુકસાન થયા બાદ હવે રવિ પાક પણ નિષ્ફળ ગયો છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે નિષ્ફળ ગયેલા પાકને ખેતરમાંથી દૂર કરવા માટેનો મજૂરી ખર્ચ પણ ખેડૂતોએ ખિસ્સામાંથી ભોગવવો પડશે. કેટલીક જગ્યાએ તો પાકનો નિકાલ કરવા માટે તેને સળગાવવા સિવાય કોઈ વિકલ્પ બાકી રહ્યો નથી. કેસર કેરીના ઉત્પાદન પર ખતરોરવિ પાકની સાથે કેસર કેરીના બાગાયતી પાકને પણ મોટો ફટકો પડ્યો છે. કમોસમી વરસાદને કારણે આંબા પર આવેલી ફૂલ-મંજરીઓ (મોર) ખરી પડી છે અથવા બગડી ગઈ છે, જેની સીધી અસર ઉનાળામાં કેરીના ઉત્પાદન અને ગુણવત્તા પર પડશે. અગાઉ ખાતર મેળવવા માટે કલાકો સુધી કતારોમાં ઉભા રહ્યા બાદ પાક ગુમાવવાનો વારો આવતા ખેડૂતોમાં રોષ અને હતાશા વ્યાપી છે. સર્વે અને રાહત પેકેજની માગખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાક નુકસાનનો સર્વે કરવામાં આવે. જગતનો તાત ગણાતો ખેડૂત જ્યારે પાયમાલ થઈ રહ્યો છે, ત્યારે સરકારે વહેલી તકે વળતર અને વિશેષ રાહત પેકેજ જાહેર કરવું જોઈએ તેવી પ્રબળ માંગ ઉઠી છે.
શહેરના સતત ધમધમતા એવા વિસનગર લિંક રોડ પર આવેલ માનવ આશ્રમ ચોકડી નજીક તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં વેલકમ કોમ્પ્લેક્સની બિલકુલ સામે રોડ સાઈડમાં છેલ્લા ઘણા સમયથી એક કુંડી ખુલ્લી હાલતમાં હોવાથી રાહદારીઓ અને વાહનચાલકો પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે.નવાઈની વાત એ છે કે આ કુંડી બનાવ્યા બાદ આજ દિન સુધી તેના પર ઢાંકણું ફિટ કરવાની તસ્દી લેવામાં આવી નથી. વિસનગર લિંક રોડ હોવાને કારણે અહીં દિવસ-રાત વાહનોની ભારે અવરજવર રહે છે. વહેલી સવારે અને મોડી રાત્રે વોકિંગમાં નીકળતા લોકો તેમજ કોમ્પ્લેક્સમાં આવતા-જતા ગ્રાહકો માટે આ ખુલ્લી કુંડી જોખમી સાબિત થઈ રહી છે. ઘણીવાર વાહનોના ટાયર આ કુંડીમાં ઉતરી જવાની ઘટનાઓ પણ બને છે.સ્થાનિક રહીશ રાકેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર, હાલમાં આ કુંડીમાં કચરો ભરાઈ ગયો છે અને અંદર કોઈ લાઈનનું જોડાણ પણ જણાતું નથી. સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક તપાસ કરવામાં આવે. જો આ કુંડી ઉપયોગી હોય તો તેના પર મજબૂત ઢાંકણું ફિટ કરવું જોઈએ અને જો તે બિનઉપયોગી હોય તો તેનું યોગ્ય પુરાણ કરીને અકસ્માતનો ભય દૂર કરવો જોઈએ. કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં તંત્ર જાગે તેવી આશા રાખવામાં આવી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત આંકડાકીય સેવામાં મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અંતર્ગત વર્ગ-2 સંવર્ગમાં સંશોધન અધિકારી તરીકે ફરજો બજાવતા 25 અધિકારીઓને ગુજરાત આંકડાકીય સેવા નાયબ નિયામક, વર્ગ-1 સંવર્ગના પગારધોરણમાં હંગામી ધોરણે બઢતી આપી નિમણૂક કરવામાં આવી છે. સંબંધિત અધિકારીઓ જે તારીખે હવાલો સંભાળશે, તે તારીખથી બઢતી અમલમાં આવશે.તેની સાથે જ, ગુજરાત આંકડાકીય સેવા નાયબ નિયામક વર્ગ-1 સંવર્ગના 14 અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલીના આદેશો પણ જાહેર કરવામાં આવ્યા છે.
પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ઘોઘંબા તાલુકાના રવેરી ગામેથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂ ફરાસખાનાના સામાનની આડમાં લઈ જવામાં આવી રહ્યો હતો. પંચમહાલ રેન્જ આઈ.જી. આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દૂધાતની સૂચનાથી પ્રોહિબિશન પ્રવૃત્તિઓ ડામવા માટે LCB PI એન.એલ. દેસાઈના માર્ગદર્શન હેઠળ એક ટીમ કાર્યરત હતી. PSI આર.એન. પટેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે રવેરી ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, GJ-01-DT-4874 નંબરની ટાટા એસી ગાડીમાંથી મંડપના સામાન નીચે અત્યંત ચાલાકીપૂર્વક છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 3,80,856/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ. 3,71,856/- ની કિંમતના 456 ટીન બિયર અને 2000 નંગ વિદેશી દારૂના ક્વાર્ટરિયા, રૂ. 2,00,000/- ની ટાટા એસી ગાડી અને મંડપનો સામાન (ટેબલ, ખુરશી, લોખંડની સીડી અને પાઇપો) નો સમાવેશ થાય છે. પોલીસે આ કેસમાં મુકેશ ઉર્ફે મુકો રમેશભાઈ પટેલ (રહે. વણાંકપુર, હાલ રહે. વેજલપુર) નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ રાજગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઓપરેશનમાં LCB PSI આર.એન. પટેલ, દિગ્પાલસિંહ, કેહજીભાઈ, કિર્તનકુમાર અને શૈલેષકુમાર સહિતના પોલીસકર્મીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
રાજકોટ મનપાનું વર્ષ 2026-27નું બજેટ આવતીકાલે રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે રાજકોટનાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. શાસક પક્ષ દ્વારા બજેટની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, બીજીતરફ વિપક્ષી નેતાઓ પણ એક્શન મોડમાં આવ્યા છે. અને આગામી બજેટમાં ટેક્સમાં રાહત આપી પ્રજા પર કોઈ નવો ટેક્સ ન લાદવા અને વ્યાજ માફીની સ્કીમ લાવવા સહિતની માંગણીઓ ઉઠાવી છે. તેમજ શહેરની સિટી બસોમાં સીનિયર સિટીઝનોને મફત મુસાફરીની સુવિધા આપવા અને સામા કાંઠા વિસ્તારમાં અટકેલી TP સ્કીમો તાત્કાલિક મંજૂર કરી ત્યાં કાલાવડ રોડ જેવો વિકાસ કરવા સહિતની 20 માંગ કરવામાં આવી છે. વિપક્ષની મુખ્ય માંગ છે કે બજેટ માત્ર આંકડાકીય માયાજાળ કે ‘ચૂંટણીલક્ષી’ વાયદાઓનું નહીં, પરંતુ પ્રજાની મુશ્કેલીઓ દૂર કરનારું અને ‘વાસ્તવિક’ હોવું જોઈએ. વોર્ડ નંબર 15 ના પ્રશ્નો અને નવી પાઈપલાઈનનો મુદ્દો વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ ખાસ કરીને વોર્ડ નં. 15 ના પ્રશ્નો પર ભાર મૂકતા જણાવ્યું કે, આ વિસ્તારમાં હાલ નવી DI પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. ગંજીવાડા, મનહરપરા, ભગવતી સોસાયટી, માજોઠી નગર, મેમણ કોલોની અને જયહિન્દ નગર જેવા વિસ્તારોમાં નવી પાઈપલાઈન નાખવાને કારણે રસ્તાઓ ખોદવામાં આવ્યા છે. વશરામ સાગઠિયાએ માંગ કરી છે કે આ કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તાઓને રિપેર કરવા માટે બજેટમાં અલગથી ગ્રાન્ટ ફાળવવી જોઈએ. જો ગ્રાન્ટ નહીં ફાળવાય તો આ વિસ્તારના લોકોને ચોમાસા દરમિયાન ભારે હાલાકી ભોગવવી પડશે. આ ઉપરાંત લાખાજીરાજ ઉદ્યોગ નગરમાં ગેસ લાઈન અને ભૂગર્ભ ગટરના કામોને લીધે પણ રસ્તાઓની હાલત બિસ્માર છે, જેના માટે તાત્કાલિક ડામર કામની વ્યવસ્થા કરવાની રજૂઆત કરાઈ છે. ટેક્સમાં રાહત અને સીનિયર સિટીઝન માટે ખાસ જોગવાઈ મોંઘવારીના માર વચ્ચે પીસાતી જનતાને રાહત આપવા માટે વિપક્ષે આગ્રહ કર્યો છે કે બજેટમાં કોઈ પ્રકારનો નવો ટેક્સ લાદવામાં ન આવે. રજૂઆતમાં જણાવ્યા મુજબ, બાકી ટેક્સ પર વ્યાજ માફીની સ્કીમ ફરી લાવવી જોઈએ જેથી મધ્યમ વર્ગના લોકો પોતાનો ટેક્સ ભરી શકે. આ ઉપરાંત, સામાજિક જવાબદારીના ભાગરૂપે શહેરની સિટી બસોમાં સીનિયર સિટીઝનોને સંપૂર્ણ મફત મુસાફરીની સુવિધા આપવા માટે પણ જોરદાર માંગ ઉઠાવવામાં આવી છે. વિપક્ષનું માનવું છે કે કોર્પોરેશન પાસે પૂરતા સંસાધનો છે, તેથી વૃદ્ધોને આ સન્માનજનક ભેટ આપવી જોઈએ. જોકે આ સુવિધા મનપા દ્વારા છેલ્લા 6 મહિના કરતા વધુ સમયથી અપાઈ રહી છે. સમાન વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર શહેરમાં જોવા મળતા પક્ષપાતી વિકાસ અંગે રોષ ઠાલવતા વિપક્ષે જણાવ્યું કે, માત્ર કાલાવડ રોડ કે પશ્ચિમ રાજકોટનો જ વિકાસ કરવો એ અન્યાય છે. સામા કાંઠા વિસ્તારમાં વર્ષોથી અટકેલી TP (ટાઉન પ્લાનિંગ) સ્કીમોને તાત્કાલિક મંજૂરી આપી ત્યાં પણ આધુનિક સુવિધાઓ અને પહોળા રસ્તાઓ બનાવવાની માંગ કરવામાં આવી છે. વધુમાં, સફારી પાર્ક જેવા પ્રવાસન સ્થળો માટે સર્વિસ રોડને બદલે ડાયરેક્ટ રોડ કનેક્ટિવિટી આપવી જોઈએ જેથી ટ્રાફિકની સમસ્યા હળવી થાય. કોર્પોરેશનના કિંમતી પ્લોટ વહાલા-દવલાની નીતિ હેઠળ વેચવાની પ્રક્રિયા બંધ કરી તેનો ઉપયોગ જાહેર સુવિધાઓ માટે કરવાની પણ તાકીદ કરવામાં આવી છે. સાગઠિયાએ જણાવ્યું કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવનારું ડ્રાફ્ટ બજેટ માત્ર આંકડાઓની માયાજાળ છે. ગત વર્ષે પણ 3117 કરોડનું બજેટ રજૂ કરાયું હતું, પરંતુ જમીની સ્તરે કામગીરી શૂન્ય રહી છે. આ વર્ષે બજેટનું કદ અંદાજે 3300 કરોડ પહોંચવાની શક્યતા છે, પરંતુ તેમાં સામાન્ય જનતા માટે કોઈ ઠોસ રાહત જોવા મળતી નથી. ખાસ કરીને મકાન વેરો, પાણી વેરો અને ગાર્બેજ કલેક્શન ચાર્જમાં વધારો સૂચવવામાં આવે છે તે ગરીબ અને મધ્યમ વર્ગના ખિસ્સા પર સીધો બોજ છે. શાસક પક્ષ દર વર્ષે બજેટમાં મોટી જાહેરાતો કરે છે પરંતુ તેનો અમલ કરવામાં નિષ્ફળ જાય છે. જૂની યોજનાઓ હજુ પણ ખોરંભે પડેલી છે અને નવી જાહેરાતો માત્ર આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વોટબેંકની રાજનીતિ કરવા માટે જ કરવામાં આવે છે. તેમણે માંગ કરી છે કે બજેટમાં કોઈપણ પ્રકારનો વેરા વધારો ન કરવો જોઈએ અને શહેરના દરેક વિસ્તારમાં પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી અને ડ્રેનેજની સફાઈ ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેટરો દ્વારા જનતા પાસેથી મળેલા સૂચનોના આધારે 20 જેટલા મુખ્ય મુદ્દાઓ તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રશ્નો અંગે મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રૂબરૂ રજૂઆત કરાઈ છે. ભાજપ શાસિત મહાનગરપાલિકા પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, મનપામાં હાલ કુશાસન ચાલી રહ્યું છે અને તંત્ર પ્રજાના પાયાના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહ્યું છે. ‘કોંગ્રેસ આપકે દ્વાર’ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નંબર 4, 10, 3, 15 અને 14 માં લોકસંપર્ક દરમિયાન લોકોની અનેક વેદનાઓ સામે આવી છે. જે સાબિત કરે છે કે ભાજપના શાસનમાં લોકો અનેક સમસ્યાથી ત્રસ્ત છે. અમદાવાદ મનપાએ પણ વ્યાજમાફી આપી છે તો રાજકોટ મનપા કેમ આ દિશામાં વિચાર કરતી નથી. નાના માણસો સામે ધોકો પછાડવાને બદલે કમિશ્નરમાં તાકાત હોય તો સરકારી મિલકતો સીલ કરી બાકી વેરો વસુલે તેવી ચેલેન્જ પણ તેમણે આપી હતી. ઉલ્લેખનીય છે કે, સાગઠિયાએ પોતાના નિવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કેસરી હિન્દ પુલથી 80 ફૂટ રોડ સુધીનો રસ્તો હાલ અત્યંત ખરાબ હાલતમાં છે. આ રસ્તો શહેરની ટ્રાફિક વ્યવસ્થા માટે મહત્વનો હોવા છતાં તેની ઉપેક્ષા થઈ રહી છે. આગામી બજેટમાં આ રસ્તાના નવીનીકરણ માટે ખાસ જોગવાઈ કરવી જોઈએ. અંતમાં તેમણે ઉમેર્યું હતું કે જો શાસક પક્ષ વિપક્ષની આ 20 માંગણીઓનો બજેટમાં સમાવેશ નહીં કરે, તો આગામી દિવસોમાં જનતાના હિત માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ત્યારે હવે મ્યુ. કામુશનર રજૂઆતોને બજેટમાં કેટલું સ્થાન આપે છે તે જોવું રહ્યું.
બોટાદમાં યુવકને રસ્તા પર રોકી માર માર્યો:જૂની અદાવતમાં હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ
બોટાદના આનંદધામ ગેટ નંબર-૦૧ વિસ્તારમાં રસોઈ કામ કરતા તનુજકુમાર પાલીવાલ પર હુમલો થયો છે. રસ્તા પર રોકીને ત્રણ અજાણ્યા ઈસમોએ તેમને માર માર્યો હતો. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તનુજકુમાર તેમના દીકરાને ટ્યુશન ક્લાસીસમાંથી લેવા જઈ રહ્યા હતા ત્યારે હનુમાનજી મંદિર પાસે એક મોટરસાયકલ ચાલકે તેમની ગાડી અટકાવી હતી. ત્યારબાદ અન્ય બે અજાણ્યા ઈસમો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે તનુજકુમારને માર માર્યો હતો. હુમલાખોરોએ અગાઉ થયેલા ઝઘડાનો ઉલ્લેખ કરીને તનુજકુમારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટનાની જાણ થતા પરિવારજનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તનુજકુમારને પ્રથમ બોટાદની સોનાવાલા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સબીહા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીડિત તનુજકુમાર પાલીવાલે ગેલાભાઈ રબારી સહિત કુલ ચાર ઈસમો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બોટાદ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફાળવવામાં આવેલા આવાસોમાં મૂળ લાભાર્થીને બદલે ભાડૂઆતો રહેતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે, મ્યુનિસિપલ કમિશનર દ્વારા રચવામાં આવેલી સ્પેશિયલ ટીમ દ્વારા 120 આવસોમાં આકસ્મિક સર્વેમાં હાથ ધરવામાં આવતા 34 મકાનો ભાડુઆત હોવાનું સામે આવતા સાંજ સુધીમાં મકાનો ખાલી કરવા ની નોટિસો પાઠવવામાં આવશે, મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર એન.બી.વઢવાણીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફાળવવામાં આવેલા મકાનો પૈકી આજરોજ શહેર ના રૂવા ગામ ખાતે આવેલ પ્રધાનમંત્રી આવસ યોજનામાં આકસ્મિક સર્વે હાથ ધરવામાં આવતા, કુલ 120 આવાસોમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 49 મકાનોમાં જ મૂળ માલિકો રહેતા માલૂમ પડ્યા હતા જ્યારે 37 મકાનો તપાસ દરમિયાન બંધ હાલતમાં મળી આવ્યા હતા તેમજ 34 મકાનોમાં ગેરકાયદેસર રીતે ભાડૂઆતો રહેતા હોવાનું ખુલવામાં પામ્યા હતું, જેની સામે કટક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, 34 ભાડુઆતો સામે તંત્ર દ્વારા આ ગેરરીતિ બદલ કડક વલણ અપનાવવામાં આવ્યું છે, જેમાં તમામ 34 ભાડૂઆતોને આજ સાંજ સુધીમાં મકાન ખાલી કરવાની નોટિસ ફટકારવામાં આવશે, તેમજ નોટિસ આપ્યાના 7 દિવસમાં જો મકાન ખાલી કરવામાં નહીં આવે, તો તંત્ર દ્વારા મકાન સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે, વધુમાં જણાવ્યું હતું કે, જો પ્રથમ તબક્કે ભાડૂઆત માલૂમ પડે તો રૂ.5,000 નો દંડ તથા જો મકાન સીલ કરવાની નોબત આવશે, તો રૂ.10,000 નો દંડ વસૂલવામાં આવશે, આ સમગ્ર સર્વેની કામગીરીમાં સ્થાનિક એસોસિએશનના પ્રમુખ અને તેમની ટીમને સાથે રાખીને પારદર્શિતા જાળવવામાં આવી હતી. પાંચ વર્ષ પહેલાં સોંપવામાં આવેલા આ આવાસોમાં નિયમ મુજબ મૂળ લાભાર્થી જ રહી શકે છે.
પ્રત્યેક મનુષ્યમાં ભગવાન જોવાની ઉમદા ભાવના સાથે જાણીતા ગાયક અતુલ પુરોહિત અને રાજેશ પટેલે મનોદિવ્યાંગ બાળકોની સેવાનો સંકલ્પ કર્યો છે. તેમના સહિયારા પ્રયાસોથી કાર્યરત 'પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ' ખાતે તાજેતરમાં પહેલીવાર 12 મનોદિવ્યાંગ બાળકો માટે ખાસ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આસ્થા ફાઉન્ડેશન સંચાલિત આ શાળામાં રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધી 122 બાળકો અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં હવે વધુ 12 બાળકોનો ઉમેરો થયો છે. આ પ્રસંગે અતુલ પુરોહિતે આ શાળાને 'શિખર કે ધજા વગરનું મંદિર' ગણાવી ભાવુકતા સાથે જણાવ્યું હતું કે, આવા બાળકોની સેવા એ જ સાચી પ્રભુ ભક્તિ છે. પ્રવેશોત્સવ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર બાળકોને સ્કૂલબેગ, યુનિફોર્મ, સ્ટેશનરી, લંચ બોક્સ અને બૂટ જેવી જીવનજરૂરી શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. વર્ષ 2010થી કાર્યરત આ સંસ્થામાં 24 તાલીમબદ્ધ શિક્ષકો આ બાળકોના ઘડતર માટે કાર્ય કરી રહ્યા છે. અતુલ પુરોહિતે સમાજના સદ્ધર લોકોને અપીલ કરી હતી કે, દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા 1 મનોદિવ્યાંગ બાળકની જવાબદારી સ્વીકારી તેમના વિકાસમાં સહભાગી થવું જોઈએ.
એક, બે કે ત્રણ નહીં પણ એક સાથે 11 એશિયાટિક સિંહો હાઈવે ક્રોસ કરતા જોવા મળ્યાં હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડીયા નજીક સ્ટેટ હાઈવે પર આ અદૂભૂત દ્દશ્ય જોવા મળ્યું હતું. જ્યા વનકર્મીઓ જાણે ટ્રાફિકકર્મીની ફરજ નિભાવી રહ્યા હોય તેમ વાહનોને રોકી સિંહોને રસ્તો ક્રોસ કરાવ્યો હતો. વનમંત્રીએ પણ X પર વીડિયો પોસ્ટ કરી વખાણ કર્યાં હતા. અર્જુન મોઢવાડિયાની X પોસ્ટ વનકર્મીઓએ વાહનોને રોકી સિંહોને સુરક્ષિતરીતે રસ્તો ક્રોસ કરાવ્યોધારી તાલુકાના છતડીયા નજીક સ્ટેટ હાઈવે પર અચાનક સિંહોનું ટોળું આવી જતા વાહનચાલકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. જોકે, ધારી ગીર વન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે બંને તરફથી આવતા વાહનોને રોકી સિંહોને સુરક્ષિત રીતે રસ્તો પાર કરાવ્યો હતો. વન વિભાગની કામગીરીની પ્રશંસાઆ પ્રશંસનીય કામગીરીને કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ કે અકસ્માતની ઘટના ટળી હતી, જેના માટે સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા વન વિભાગની કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે. વનમંત્રી અર્જુન મોઢવાડીયાએ આ વીડિયો X પર પોસ્ટ કર્યો હતો. તેઓએ વન્યજીવોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ વન વિભાગના કર્મચારીઓની પ્રશંસા કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, સિંહોને સુરક્ષિત રીતે ક્રોસિંગ કરાવવામાં આવ્યું હતું અને વન્યજીવ સુરક્ષિત છે. હાઈવ પર સિંહોની લટાર અવારનવાર જોવા મળે છેઅમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે. જેના પગલે સિંહો માનવ વસાહતો અને હાઈવ પર અવારનવાર લટાર મારી રહ્યા છે. એક સાથે 11 સિંહો રોડ ક્રોસ કરતા દ્રશ્યો કોઈ વાહનચાલક દ્વારા મોબાઈલમાં કેદ થયા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે. હવે જોઈએ સિંહોના લટારની અન્ય કેટલીક ઘટનાઓ વિશેગીરમાંથી હવે દરિયાકાંઠે સિંહનું સામ્રાજ્ય ગીરના જંગલોમાંથી નીકળીને હવે ડાલામથ્થા સિંહો છેક દરિયાકાંઠાના વિસ્તારો સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવી રહ્યા છે. ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોનો વસવાટ વધ્યો છે, ત્યારે છેલ્લા બે દિવસથી ગુંદાળા ગામમાં સિંહ પરિવારના ધામાથી ગ્રામજનોમાં ભય ફેલાયો છે. બીજી તરફ, પર્યટન સ્થળ દીવમાં પણ સિંહણની લટાર જોવા મળતાં વન વિભાગ દોડતું થયું છે. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) ભાવનગર-સોમનાથ હાઈવે પર કારે સિંહણને અડફેટે લેતા મોત તાજેતરમાં ભાવનગર-સોમનાથ હાઈવે પર કારે સિંહણને અડફેટે લેતા સિંહણનું મોત થયું હતું. રોડ ક્રોસ કરતા સમયે પુરપાટ આવતી કારે સિંહણને ઉલાળી હતી. હિટ એન્ડ રન બાદ કારચાલક નાગેશ્રી ટોલનાકાથી ઉના તરફ ફરાર થઈ ગયો હતો. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
ગુજરાત વિધાનસભા ખાતે ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની વિશેષ ઉપસ્થિતિ રહી. આ તાલીમ શિબિરમાં બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કુલ 260થી વધુ સરપંચોએ ભાગ લીધો હતો. પંચાયતમાં સરપંચની ભૂમિકા, અધિકારી અને ફરજો અંગે માહિતી અપાઈસરપંચોને સંસદીય લોકતંત્રમાં પંચાયતની ભૂમિકા, જી-રામજી-ગ્રામ વિકાસ યોજના અંતર્ગત વિકાસ કામોની પ્રક્રિયા, પંચાયતના હિસાબી નિયમો તેમજ ગ્રામસભા અને પંચાયતસભામાં સરપંચની ભૂમિકા, અધિકારો અને ફરજો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. વિવિધ વિષયો પર નિષ્ણાત તજજ્ઞોએ વ્યાખ્યાન આપીને સરપંચોને માર્ગદર્શન આપ્યું. વિકાસલક્ષી યોજનાઓના અસરકારક અમલ માટે ઝોનવાઈઝ શિબિર યોજાશેવિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના વિચારથી અને મુખ્યમંત્રી સાથે સંવાદ બાદ સરપંચ થકી વિકાસલક્ષી યોજનાઓને વધુ અસરકારક રીતે અમલી બનાવવા ઝોન વાઈસ શિબિર યોજવાનો નિર્ણય લેવાયો હોવાનું જણાવાયું. આ શિબિરો રાજકીય મુદ્દાઓથી દૂર રહી સંપૂર્ણપણે વિકાસને કેન્દ્રમાં રાખીને યોજાઈ રહી છે, જેમાં સરપંચોને મજબૂત બનાવવા અને નિયમોની સ્પષ્ટ સમજ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. પંચાયત મંત્રી રૂષિકેષ પટેલે જણાવ્યું કે, પંચાયતના અધિકાર, ફરજો અને જવાબદારીઓ અંગે સરપંચોને માહિતગાર કરવા માટે આ શિબિર મહત્વપૂર્ણ છે. સરપંચો દ્વારા કરવામાં આવતી માંગણીઓ સંદર્ભે મુખ્યમંત્રી યોગ્ય નિર્ણય કરશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો.
સુરતમાં ખજોદ ડિસ્પોઝલ સાઈટમાંથી કચરો બારોબાર લઈ જઈ અન્ય વિસ્તારોમાં ઠાલવવાનો વિવાદ છેલ્લા એક મહીનાથી ગરમાયો છે અને તપાસ જારી છે તે દરમિયાન ગતરોજ સોમવારે સવારે અચાનક સાઈટ પર કચરાના ઢગલામાં રહસ્યમયી રીતે આગ ફાટી નીકળી હતી. આગનો ધુમાડો પાંચ કિલોમીટર સુધી દેખાતા લોકો પણ અવાક થઈ ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા 25 કલાકથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં આઠ લાખ લિટર કે વધુ પાણીનો મારો ચલાવવામાં આવી ચૂક્યો છે પણ આત્મા સાબુ મેળવવામાં સફળતા મળી નથી. વિપક્ષે કચરો સળગાવી દેવાનો ગંભીર આરોપ મુકી ગંભીર કાર્યવાહી કરવાની માંગ કરી છે. વિવાદિત સાઈટ પર લાગેલી આગને લઈ સવાલો ઉઠ્યાપાલિકાની ખજોદ સ્થિત કચરા ડમ્પિંગ સાઇટમાં ચાલતી લાલિયાવાડીનો પર્દાફાશ એક મહીના પહેલા જ થયો હતો. જે કોન્ટ્રાક્ટરને કચરો વૈજ્ઞાનિક પદ્ધિતએ ફિલ્ટર કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે બારોબાર કચરો મહુવા તાલુકાના કાંકરિયા ગામે ડમ્પ કરતો હોવાનો આરોપ છે. ઉહાપોહ થતા પાલિકાએ અધિકારીઓને શો-કોઝ નોટીસ ફટકારી છે અને કોન્ટ્રાક્ટરને પણ પેનલ્ટી કરી છે. ઘટનાની ગંભીરતા જોતા મનપા કમિશનરે પાંચ ઉચ્ચ અધિકારીઓની તપાસ કમીટી પણ બનાવી છે. 25 કલાક બાદ પણ આગ બેકાબૂએક બાજુ સમગ્ર ઘટના અંગે તપાસ ચાલુ છે. ત્યાં બીજી બાજુ સોમવારે સવારે 10.41 કલાકે ખજોદ સાઈટ પર આગ ફાટી નીકળી હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. જોત-જોતામાં આગ કચરામાં દૂર સુધી ફેલાઈ ગઈ હતી અને આગના ધુમાડા છેક પાંચ કિમી દૂર પાંડેસરા સુધી દેખાતો હતો. ફાયર બ્રિગેડની સાત ગાડીઓ દ્વારા સતત આગ ઓલવવા માટેની કામગીરી શરુ કરવામાં આવી હતી. છેલ્લા 25 કલાકથી આઠ લાખ લિટર થી વધુ પાણીનો મારો ચલાવવા છતાં પણ હજુ આ સાબુમાં આવી નથી. જોકે આ સમગ્ર ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર લાગેલી આગથી ભેદભરમ સર્જાયો છે. વિપક્ષે કોન્ટ્રાક્ટરને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ કર્યો હતો. ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી ભીષણ આગ હવે માત્ર દુર્ઘટના નહીં, પરંતુ એક મોટા વિવાદનું કેન્દ્ર બની છે. જે સાઇટ પર ચૂંટાયેલા કોર્પોરેટરોને પણ પ્રવેશવા માટે પરવાનગી લેવી પડે છે, ત્યાં અચાનક આગ લાગવાની ઘટનાએ તંત્રની કામગીરી અને નિયત પર અનેક સવાલો ઉભા કર્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, આગ લાગ્યાના કલાકો સુધી ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ ગંભીરતા દાખવવામાં આવી નહોતી. ફાયર ફાઈટરો મોડા પહોંચ્યા હોવાના અને વહીવટી તંત્રની ઉદાસીનતાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ આગ સામાન્ય અકસ્માત હોવાને બદલે પૂર્વ આયોજિત હોવાની શંકા પાછળ કેટલાક કારણો જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. જેવા કે ડિસ્પોઝલ સાઇટ પર સુરક્ષા એટલી સજ્જડ હોય છે કે કોર્પોરેટરે પણ અંદર જવા મંજૂરી લેવી પડે છે. તો પછી બહારની વ્યક્તિ ત્યાં કેવી રીતે પહોંચી શકે? અને જો અંદરથી આગ લાગી હોય તો જવાબદાર કોણ? હાલમાં શહેરમાં કચરાના નિકાલ અને તેને લગતા ટેન્ડરો અંગે મોટો વિવાદ ચાલી રહ્યો છે. બરાબર આ જ સમયે આગ લાગવી એ માત્ર સંયોગ હોઈ શકે નહીં તેવું ચર્ચાઈ રહ્યું છે. સવારે 10:41 વાગ્યે ઘટનાની જાણ હોવા છતાં, અધિકારીઓએ કેમ તાત્કાલિક પગલાં ન લીધા? શું આ વિલંબ પાછળ કોઈ ચોક્કસ હેતુ હતો? વિપક્ષ દ્વારા એવા ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, હાલમાં ચાલી રહેલી કચરા કૌભાંડની તપાસને ગેરમાર્ગે દોરવા માટે જ આ આગ લગાડવામાં આવી છે.
અમદાવાદ શહેરના ઠક્કર નગર વિસ્તારમાં ભાઈએ ભાઈની હત્યા કરી હોવાની ઘટના બની છે. નાના ભાઈ અને બહેન વચ્ચે ઝઘડો થયો હતો જેમાં નાના ભાઈએ પોતાની બહેનને હાથમાં છરી લઈ અને મારવા જવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મોટો ભાઈ વચ્ચે પડ્યો હતો અને જેમને છોડાવવા જતા નાના ભાઈએ મોટાભાઈને છરી મારી દીધી હતી. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ભાઈનું ત્રીજી વખત સારવાર દરમિયાન મોત હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપી ભાઈની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. નાના ભાઈએ મોટાભાઈને છરી મારી દીધીમળતી વિગત અનુસાર, ઠકકરનગરમાં આવેલી આઈસ ફેક્ટરીની પાછળ ચામુંડાની ચાલીમાં રહેતી પ્રિયંકા શહાનીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં તેના દિયર સત્યેન્દ્ર શહાની વિરૂદ્દ હત્યાની ફરિયાદ કરી છે. પ્રિયંકાના લગ્ન વર્ષ 2022માં જીતેન્દ્ર શહાની સાથે સામાજીક રીવાજો મુજબ થયા હતાં. જીતેન્દ્ર શહાની તેના પિતા સસરા, માતા કૌશલ્યાદેવી, ભાઈ સત્યેન્દ્ર સાથે રહેતો હતો અને છુટક મજુરી કરીને ગુજરાન ચલાવતો હતો. પ્રિયંકા અને જીતેન્દ્રને દિકરો અને દિકરી છે. જીતેન્દ્ર બાદ સત્યેદ્રના પણ થોડા સમય પહેલા રીમા નામની યુવતી સાથે લગ્ન થયા હતાં. બહેનની વાત સાંભળીને નાનો ભાઈ ઉશ્કેરાયો હતોબે દિવસ પહેલા પ્રિયંકા, જીતેન્દ્ર, નણંદ શાંતીદેવી તેમજ દિયર સત્યેન્દ્ર સહિતના લોકો ઘરમાં હાજર હતા ત્યારે ઝઘડો થયો હતો. પ્રિયંકા અને જીતેન્દ્ર બપોરે એક વાગ્યાની આસપાસ છતના પતરાને કલર કરવા માટે ગયા હતા. બન્ને કલર કરીને નીચે જમવા માટે આવ્યા હતા. શાંતીદેવીએ સત્યેન્દ્રને ઠપકો આપ્યો હતો કે તું મોટાભાઈને કલર કરવામાં મદદ કેમ કરતો નથી. બહેનની વાત સાંભળીને સત્યેદ્ર ઉશ્કેરાયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો. બંન્ને ભાઈ બહેન વચ્ચે બોલાચાલી થતાં સત્યેદ્ર રસોડામાંથી શાકભાજી કાપવાની છરી લઈને આવ્યો હતો. પેટમાં તેમજ હાથમાં છરી વાગતા લોકોએ બુમાબુમ કરીશાંતીદેવીને બચાવવા માટે જીતેન્દ્ર વચ્ચે આવ્યો હતો અને સત્યેન્દ્રને રોક્યો હતો. સત્યેન્દ્રએ ધમકી આપતા જીતેન્દ્રને કહ્યું હતું કે, તું વચ્ચેથી સાઈડ થઈ જા નહી તો તને છરી મારી દઈશ. જોકે વચ્ચેથી નહી હટતા સત્યેન્દ્રએ તેના હાથમાં રહેલી છરી હુલાવી દીધી હતી. જીતેન્દ્રને પેટમાં તેમજ હાથમાં છરી વાગતા પ્રિયંકા સહિતના લોકોએ બુમાબુમ કરી હતી. આસપાસના લોકો ભેગા થઈ જતા સત્યેન્દ્ર ત્યાંથી નાસી ગયો હતો. ઈજાગ્રસ્ત જીતેન્દ્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. નાના ભાઈ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધાયોજીતેન્દ્રએ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવાની ના પાડી દેતા તે લોહીલુહાણ હાલતમાં ઘરે આવી ગયો હતો. જીતેન્દ્રને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યા તેની સારવાર કરીને રજા આપી દીધી હતી. ગઈકાલે જીતેન્દ્રને વધુ દુખાવો ઉપડતા તેને ધનવંતરી હોસ્પિટલમાં લઈ ગયા હતાં, જ્યા ટૂંકી સારવાર બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ કૃષ્ણનગર પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે આવી ગયા હતા જ્યા તેમને સત્યેદ્ર વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. ત્રીજી વખત સારવાર દરમિયાન મોતઉલ્લેખનીય છે કે 31 જાન્યુઆરીના રોજ જીતેન્દ્ર ઉપર તેના ભાઈએ સત્યેન્દ્રએ હુમલો કર્યો હતો. જેથી તેને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતાં. સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે અને સોનોગ્રાફી કરાયા બાદ જીતેન્દ્ર ડોક્ટરને કહ્યા વગર પોતાના ઘરે આવી ગયો હતો. આ બાદ અન્ય એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા જ્યા તેને ટુંકી સારવાર બાદ રજા આપી દીધી હતી. ગઈકાલે એકાએક જીતેન્દ્રની તબીયત ખરાબ થઈ હતી અને તેને ત્રીજી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યા તેનું મોત થયુ હતું. સમયસર સારવાર લીધી હોત તો કદાચ તે બચી જાતજીતેન્દ્રના પરિવારનું કહેવુ છે કે જો તેને સમયસર સારવાર લીધી હોત તો કદાચ તે બચી ગયો હોત. મૃતક જીતેન્દ્રના અગાઉ બે લગ્ન થઈ ચુક્યા છે. જીતેન્દ્રના અગાઉ બે લગ્ન થઈ ચુક્યા છે અને પ્રિયંકા સાથે તેના ત્રીજા લગ્ન હતાં. જીતેન્દ્રની બહેન શાંતીદેવી પણ દિવ્યાંગ છે જેથી તેણે લગ્ન નથી કર્યા.
યાત્રાધામ બહુચરાજીમાં માઁ શક્તિના દર્શનપથ જેવા પવિત્ર સ્થળ પર ધારદાર હથિયાર સાથે સોશિયલ મીડિયા માટે રીલ બનાવી ભય ફેલાવવાનો પ્રયાસ કરનાર શખસને પોલીસે ઝડપી પાડીને કાયદાનું ભાન કરાવ્યું છે. માથાભારે યુવકે જે સ્થળે હથિયાર લહેરાવીને રીલ બનાવી હતી. તે જ સ્થળે પોલીસે તેને લઈ જઈ જાહેરમાં ઉઠક-બેઠક કરાવી માફી મંગાવતા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. રીલ વાઈરલ થતાં પોલીસે એક્શન લીધીઘટનાની વિગતો મુજબ બેચર ગામના નાનસંગ ઉર્ફે પિન્ટુ સોલંકી નામના શખ્સે બહુચરાજી મંદિરના દર્શનપથ પર હાથમાં ધારદાર છરો લહેરાવતો હોય તેવી એક રીલ બનાવી સોશિયલ મીડિયા પર વાઇરલ કરી હતી. પવિત્ર ધામમાં આ પ્રકારે હથિયાર સાથે રોફ જમાવવાની હરકત પોલીસના ધ્યાન પર આવતા બહુચરાજી પોલીસે તાત્કાલિક એક્શન લીધા હતા. પોલીસે સામે યુવકે કાન પકડી માફી માગીબહુચરાજી પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં આરોપી નાનસંગ ઉર્ફે પિન્ટુને દબોચી લીધો હતો. પોલીસ તેને ઘટનાસ્થળે એટલે કે દર્શનપથ પર લઈ ગઈ હતી.જ્યાં તેની પાસે જાહેરમાં ઉઠક-બેઠક કરાવી હતી અને શાન ઠેકાણે લાવી માફી મંગાવી હતી. સોશિયલ મીડિયાના વળગણમાં કાયદો હાથમાં લેનારા તત્વો માટે પોલીસે આ કડક કાર્યવાહી દ્વારા લાલબત્તી ધરી છે કે પવિત્ર ધામની શાંતિ ડહોળનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.
ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલી SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિઓ થતી હોવાના આક્ષેપ સાથે રાજકીય વાતાવરણ ગરમાયું છે. સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વેરાવળ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી વિનોદ જોશી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો કે લોકોની જાણ બહાર ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરીને તેમનો મતાધિકાર છીનવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફોર્મ નંબર 7ની નકલો અને વિગતોની માંગણી કરી હતી. જોકે, પ્રાંત અધિકારીએ ન આપતા વિમલ ચુડામસાએ ‘સુપર CM’ કહ્યાં હતા. જોકે, ત્યારબાદ તેઓ આવતીકાલે તેમના કાર્યાલયે નકલો અને વિગતો મોકલશે તેમ કહીને મામલો શાંત પાડ્યો હતો. ઓન-કેમેરા 'સુપર CM' સંબોધનથી વિવાદ વકર્યોધારાસભ્ય ચુડાસમા છેલ્લા કેટલાક દિવસોથી SIR પ્રક્રિયા અંતર્ગત રજૂ થયેલા ફોર્મ નંબર 7ની નકલો અને વિગતોની માંગ કરી રહ્યા હતા. જોકે, ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રાંત અધિકારી વિનોદ જોશીએ આ માહિતી આપવાનો ઇનકાર કરતા વિવાદ સર્જાયો હતો. ધારાસભ્ય કેમેરા સાથે પ્રાંત કચેરી પહોંચ્યા હતા, જ્યાં અધિકારી અને ધારાસભ્ય વચ્ચે આશરે 20 મિનિટ સુધી શાબ્દિક ટપાટપી થઈ હતી. ચર્ચા દરમિયાન ચુડાસમાએ અધિકારી પર સત્તાધારી પક્ષના લોકોની ગેરરીતિઓને છાવરવાનો આક્ષેપ કરી તેમને સુપર CM તરીકે સંબોધ્યા હતા. ખોટા ફોર્મ અને મતાધિકાર છીનવવાનું ષડયંત્રધારાસભ્યએ જણાવ્યું હતું કે, SIR પ્રક્રિયામાં ચોક્કસ સમાજ અને પક્ષને નિશાન બનાવી નિર્દોષ નાગરિકોના નામે તેમની જાણ બહાર ફોર્મ નંબર 7 ભરી દેવામાં આવ્યા છે. આ મામલે તેમણે અસરગ્રસ્ત નાગરિકોના સોગંદનામા પણ રજૂ કર્યા છે, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ફોર્મ તેમની સંમતિ વિના ભરાયા છે. ધારાસભ્યની મુખ્ય માંગણીઓ અધિકારીનો વીડિયોમાં સ્વીકારસમગ્ર વિવાદના અંતે એક વીડિયો ફૂટેજ સામે આવ્યું છે, જેમાં પ્રાંત અધિકારી વિનોદ જોશી એવું બોલતા સંભળાય છે કે, આમાં વસ્તુ એવી છે કે અમને પણ ખબર છે કે આ બધા ખોટા છે... આ નિવેદન ત્યારે રેકોર્ડ થયું હતું. જ્યારે અધિકારીને લાગ્યું કે વીડિયો રેકોર્ડિંગ બંધ થઈ ગયું છે. લેખિત રજૂઆત અને ઉગ્ર આંદોલન બાદ અંતે પ્રાંત અધિકારી દ્વારા ફોર્મ નંબર 7ની નકલો ધારાસભ્યના કાર્યાલયે પહોંચાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
જામનગરમાં પુનિત નગર વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાના અવસાન બાદ તેમના બેંક ખાતામાંથી 9 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પાડોશમાં રહેતા પિતા-પુત્રએ કથા કરવાના બહાને આ રકમ ઉપાડી અંગત ઉપયોગમાં લીધી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મૃતકના ભત્રીજાએ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે. મૂળ ખંભાળિયા તાલુકાના ભાતેલના વતની અને હાલ મોરબી જિલ્લાના ઘુંટુ ગામમાં રહેતા દશરથસિંહ બળવંતસિંહ જાડેજાએ આ ફરિયાદ નોંધાવી છે. તેમના ભાભુ રાજુબા જાડેજા, જેઓ આરોપીઓના પાડોશમાં રહેતા હતા, તેમનું થોડા સમય પહેલા અવસાન થયું હતું. પરિવારજનોએ તેમના નામે કથા સપ્તાહ કરવાનું વિચાર્યું હતું. ફરિયાદ મુજબ, પાડોશમાં રહેતા રતુભા હનુભા જાડેજા અને તેમના પુત્રએ રાજુબાના બેંક ખાતામાંથી 9 લાખ રૂપિયાની રકમ બે હપ્તામાં ચેક દ્વારા ઉપાડી લીધી હતી. આ રકમ કથા કરવાના બહાને ઉપાડીને અંગત ઉપયોગમાં વાપરી નાખી હતી. તેમણે એક નાની કથા કરી હતી, જેમાં રાજુબાના પરિવારના કોઈ સભ્યને સામેલ કર્યા ન હતા. આ રીતે આરોપીઓએ પરિવાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ અંગે સિટી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પીએસઆઇ ડી.જે. રાજ આ કેસની તપાસ ચલાવી રહ્યા છે.
જૂનાગઢના વંથલી શહેરમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ભયાનક ઘટના સામે આવી છે. શહેરની જાણીતી ભલાયશા દરગાહના પરિસરમાં 30 વર્ષીય તાજીમ સોઢા નામના યુવકની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. આ હુમલામાં વચ્ચે પડેલા અન્ય એક યુવકને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર હેઠળ ખસેડાયો છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં રોષ અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ સમગ્ર મામલે મૃતકના પિતાએ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે. છરી અને લોખંડના પાઈપ સાથે તૂટી પડ્યામળતી વિગતો મુજબ, વંથલીમાં ગઈકાલે મોડી રાત્રે તાજીમ સોઢા દરગાહ પાસે હતો ત્યારે અચાનક 4 હથિયારબંધ શખ્સો છરી અને લોખંડના પાઈપ સાથે તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ તાજીમ પર એટલા બેફામ ઘા ઝીંક્યા હતા કે તેનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત નીપજ્યું હતું. બચાવવા પડેલા શખ્સ પર પણ હુમલોઆ લોહિયાળ ખેલ દરમિયાન તાજીમને બચાવવા વચ્ચે પડેલા અન્ય એક વ્યક્તિને પણ હુમલાખોરોએ નિશાન બનાવ્યો હતો, જે હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. 7 લોકોએ હુમલો કર્યાનો મૃતકના પિતા મુસાભાઈનો આક્ષેપમૃતક તાજીમના પિતા મુસાભાઈએ આક્ષેપ કર્યો હતો કે, હુમલાખોરોમાં રફીકશા, તેનો ભત્રીજો અકરમ, પુત્ર અરબાઝ અને ઈમલો કાળી સામેલ હતા. આ ચારને તેમણે નજરે જોયા હતાં. જ્યારે અન્ય ત્રણ સાથીદારો હુમલો કરી અંધારામાં નાસી છૂટ્યા હતાં. જૂની અદાવતમાં હત્યા થઈ હોવાની પ્રાથમિક માહિતીપુત્ર ગુમાવનાર મુસાભાઈએ માંગ કરી છે કે આ તમામ ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ હત્યા પાછળ જૂની અદાવત જવાબદાર હોઈ શકે છે. વંથલી પોલીસે અત્યાર સુધીની તપાસના આધારે અલગ-અલગ ટીમો બનાવી છે અને પિતાએ આપેલા નામોના આધારે આરોપીઓને પકડવા માટે સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયોહત્યાની જાણ થતા જ વંથલી સિવિલ હોસ્પિટલ ખાતે મુસ્લિમ સમાજના અને મૃતકના સગા-સંબંધીઓના મોટા ટોળા એકઠા થયા હતા. પરિસ્થિતિ વણસે નહીં તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો હોસ્પિટલ અને દરગાહ વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો લૂંટના ઈરાદે વૃદ્ધની કરપીણ હત્યા કરીજૂનાગઢના કેશોદમાં આવેલા ખમીદાણ ગામનો પુજારી મહેશ વ્યાસ નામના આરોપીએ લૂંટના ઈરાદે વૃદ્ધની કરપીણ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આરોપીએ વૃદ્ધા પર દુષ્કર્મનો પ્રયાસ પણ કર્યો હતો. જૂનાગઢ આર.આર. સેલની ટીમે સતત મહેનત બાદ આ વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
ગીરની શાન ગણાતી કેસર કેરીના પાક માટે હાલનો સમય અત્યંત નાજુક છે. ગીર પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ અને વહેલી સવારે પડતી ઝાકળને કારણે કેરીના મોરમાં રોગ-જીવાત ફેલાવાની દહેશત ઊભી થઈ છે. ગઈકાલે (2 ફેબ્રુઆરી) ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને જામવાળા વિસ્તારમાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા, જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ ગંભીર સ્થિતિને જોતાં બાગાયત વિભાગના 'મેંગો એક્સેલેન્સ સેન્ટર-તાલાલા' દ્વારા ખેડૂતો માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નાજુક તબક્કે વાતાવરણનો વળાંક ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે 16,000 હેક્ટરથી વધુ જમીનમાં 20 લાખ જેટલા આંબાના વૃક્ષ આવેલા છે. હાલમાં આંબામાં ફ્લાવરિંગ (મોર) અને ફ્રૂટ સેટિંગ (કેરી બંધાવાની પ્રક્રિયા)નો સૌથી મહત્વનો તબક્કો ચાલી રહ્યો છે. ગીર અને સૌરાષ્ટ્રમાં દર વર્ષે આશરે 8 લાખ મેટ્રિક ટન કેસર કેરીનું ઉત્પાદન થાય છે, ત્યારે આ પ્રતિકૂળ વાતાવરણ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી શકે છે. ત્રણ તબક્કામાં મોરની સ્થિતિ ગીરના આંબામાં મોર આવવાની પ્રક્રિયા આ વર્ષે ત્રણ અલગ-અલગ તબક્કામાં વહેંચાઈ છે: કયા રોગ અને જીવાતનો ખતરો? બાગાયત નિષ્ણાતોના મતે, વાદળછાયા વાતાવરણ અને ભેજને કારણે આંબામાં નીચે મુજબની સમસ્યાઓ વધી શકે છે: આ પણ વાંચો, ગીર પંથકમાં કેસરનો ત્રીજો અને અંતિમ તબક્કો શરૂ, માર્ચમાં ચિત્ર સ્પષ્ટ થશે બાગાયત વિભાગની ખેડૂતોને અપીલ અને ઉપાય: નિષ્ણાતોએ ખેડૂતોને બગીચામાં સવાર-સાંજ અવલોકન કરવા અને જરૂર જણાયે નીચે મુજબના પગલાં લેવા જણાવ્યું છે: કેવી રીતે તપાસ કરશો? ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે, દિવસે બગીચામાં જઈને આંબાના મોર (Inflorescence)ને હળવેથી હલાવી જુઓ. જો તેમાંથી મધિયો કે થ્રિપ્સ જેવી જીવાતો ઉડતી દેખાય, તો સમજી લેવું કે, નિયંત્રણના પગલાં લેવાનો સમય આવી ગયો છે. વધુ માહિતી કે માર્ગદર્શન માટે ખેડૂતોને 'સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર મેંગો, તાલાલા'નો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે. આગોતરી કેરીની આવકમાં વિલંબની શક્યતા સામાન્ય રીતે ઓક્ટોબર-નવેમ્બરમાં જે મોર ફૂટે છે તેની કેરી એપ્રિલની શરૂઆતમાં બજારમાં આવી જતી હોય છે, જેનાથી ખેડૂતોને ઊંચા ભાવ મળે છે. પરંતુ આ વર્ષે કમોસમી વરસાદે ગણિત બગાડ્યું છે. જોકે, અમુક ગામોમાં છૂટાછવાયા આંબામાં આગોતરી ફૂટ થતા ત્યાં ખાખડી તૈયાર થઈ રહી છે, પણ મોટાભાગના વિસ્તારોમાં હજુ ફ્લાવરિંગ ચાલુ છે. આ પણ વાંચો, આ વર્ષે કેસર કેરી મોડી અને મોંઘી મળવાના એંધાણ; જાણો જવાબદાર કારણો માર્ચમાં ચિત્ર સ્પષ્ટ થશે આગામી માર્ચ મહિનામાં ખબર પડશે કે કેટલા ટકા ફૂટ ટકી રહી છે અને કેરીનું બંધારણ કેવું છે. જો હવે માવઠું કે કમોસમી વરસાદ ન થાય, તો આ વર્ષે કેસરનું મબલખ ઉત્પાદન મળવાની પૂરી સંભાવના છે. આ પણ વાંચો, કેસર કેરીની નિકાસ પર વાતાવરણની વિપરીત અસર; વરસાદની અસરથી ક્વોલિટી બગડી તાલાલા મેંગો યાર્ડના અધિકારી સુરેશ કાલસરિયાના જણાવ્યા મુજબ, તાલાલા મેંગો માર્કેટયાર્ડમાં કેસર કેરીની આવક અંગે છેલ્લા ત્રણ વર્ષના આંકડા પર નજર કરીએ તો... વર્ષ 2022 - 23માં 5 લાખ 3 હજાર 321 બોક્સની આવક થઈ હતી અને 10 કિલોના બોક્સનો સરેરાશ ભાવ રૂપિયા 740 રહ્યો હતો, જેથી 37 કરોડ 24 લાખ 57 હજાર 540નો વેપારનો નોંધાયો હતો. આવી રીતે વર્ષ 2023 - 24માં કુલ 11 લાખ 13 હજાર 540 બોક્સની આવક થઈ હતી અને 10 કિલોના બોક્સનો ભાવ સરેરાશ ₹425 રહ્યો હતો, જેથી 47 કરોડ 32 લાખ 54 હજાર 500નો વેપાર નોંધાયો હતો. આવી રીતે વર્ષ 2024 - 25ની વાત કરીએ તો 05 લાખ 90 હજાર 700 બોક્સની આવક થઈ હતી અને 10 કિલોના બોક્સના સરેરાશ ભાવ 700 રહ્યા હતા, જેથી 41 કરોડ 34 લાખ 90 હજારનો વેપાર નોંધાયો હતો. આ વર્ષે ચાલુ સિઝનમાં 4 લાખ 50, હજાર બોક્સની આવક નોંધાય છે અને સરેરાશ ભાવ 550 જેટલો નોંધાયો છે, જેથી 24 કરોડ 75 લાખ નો વેપાર નોંધાયો છે. આમ ગત વર્ષની સાપેક્ષમાં આ વર્ષે 1.5 લાખ બોક્સ ઓછી આવક નોંધાઇ છે. આ પણ વાંચો, કમોસમી વરસાદના કારણે મોટા ભાગની કેરી ખરી ગઈ; ખેડૂતોએ ભીની આંખે વેદના વર્ણવી
હિંમતનગર રેલવે લાઇન પાસે કચરામાં આગ:કેનાલ અને ગરનાળું કચરાપેટી બનતા પ્રદૂષણ ફેલાયું
હિંમતનગરના ધાણધા રેલવે ફાટક નજીક રેલવે લાઇન પાસેના ગરનાળા પાસે મંગળવારે પ્લાસ્ટિકના કચરામાં આગ લાગી હતી. જોકે, અજાણ્યા લોકોએ કચરામાં આગ લગાડી હોવાનું અનુમામ છે. આ ઘટનાને કારણે જમીન અને હવા બંને પ્રદૂષિત થયા હતા. હિંમતનગરથી ઇડર સ્ટેટ હાઇવે પાસેથી પસાર થતી ખેડબ્રહ્મા રેલવે લાઇનને અડીને આવેલી પાણીના નિકાલ માટેની કેનાલ અને ગરનાળું કચરાપેટી બની ગયું છે. આસપાસના લોકો પાલિકાના ટ્રેક્ટરમાં કચરો નાખવાને બદલે ખુલ્લો કચરો અહીં નાખી જાય છે. આ ખુલ્લામાં નાખવામાં આવતા કચરામાં પ્લાસ્ટિક સહિતનો વિવિધ પ્રકારનો કચરો હોય છે. મંગળવારે આ જ કચરાના ઢગલામાં આગ લાગી હતી. અજાણ્યા લોકો દ્વારા આગ ચાંપવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
સુરત મહાનગરપાલિકાના વર્ષ 2026-27ના ડ્રાફ્ટ બજેટના આંકડાઓ સ્પષ્ટ કરે છે કે કુલ અંદાજિત બજેટ ₹10,593 કરોડનું રાખવામાં આવ્યું છે. જેમાંથી વિકાસકામો માટે ₹5,073 કરોડનું કેપિટલ બજેટ ફાળવવામાં આવ્યું છે. રેવન્યુ આવકના સ્ત્રોતો પર નજર કરીએ તો, વર્ષ 2026-27 માટે કુલ રેવન્યુ આવક ₹5,777 કરોડ અંદાજવામાં આવી છે. આ આવકમાં સૌથી મોટો હિસ્સો નોન-ટેક્સ રેવન્યુ (29%) અને યુઝર ચાર્જ (23%) દ્વારા મેળવવાનું આયોજન છે.ખર્ચના આયોજનની વાત કરીએ તો, રૂપિયાનો સૌથી મોટો હિસ્સો એટલે કે 48% જેટલો ખર્ચ એસ્ટાબ્લિશમેન્ટ પાછળ થશે. આ ઉપરાંત, શહેરના પાયાના માળખાની મરામત, નિભાવ અને વીજળી ખર્ચ પાછળ 19% રકમ ફાળવવામાં આવી છે. બજેટમાં સર્વિસ અને પ્રોગ્રામ પાછળ 11% તથા ઘસારા પેટે 11% ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. આમ, બજેટમાં વહીવટી ખર્ચ અને શહેરના જાળવણી ખર્ચ વચ્ચે સમતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પાટણ જિલ્લામાં આધાર કાર્ડ સંબંધિત એક ગંભીર ભૂલ સામે આવી છે, જેમાં ચાર જીવિત વ્યક્તિઓને આધાર ડેટામાં મૃત જાહેર કરવામાં આવ્યા છે. આ ભૂલના કારણે આ અરજદારો સરકારી યોજનાઓના લાભથી વંચિત બન્યા છે, જેમાં તેમના વિધવા પેન્શન બંધ થઈ ગયા છે અને બેંકમાંથી નાણાં ઉપાડવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આધાર કાર્ડમાં થયેલી આ ટેકનિકલ ખામીને સુધારવા માટે અરજદારોએ પાટણ કલેક્ટર કચેરીનો સંપર્ક કર્યો હતો. કલેક્ટર કચેરી દ્વારા આ બાબતે અમદાવાદ સ્થિત આરો (RO) ઓફિસને ઈ-મેલ દ્વારા જાણ કરવામાં આવી હતી. જોકે, હજુ સુધી આ આધાર કાર્ડ પુનઃ સક્રિય થયા નથી. કાર્ડ બંધ હોવાને કારણે આ નિરાધાર અરજદારોને જીવન નિર્વાહ ચલાવવામાં આર્થિક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા ગાંધીનગર અધિક કલેક્ટર (UID) ને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. પત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, અરજદારો હાલ જીવિત હોવા છતાં તેમના આધાર સ્ટેટસમાં મૃત દર્શાવવામાં આવે છે. આ ભૂલને તાત્કાલિક સુધારીને કાર્ડ ફરી ચાલુ કરવા અને અટકેલી સહાય પુનઃ શરૂ કરવા માંગ કરવામાં આવી છે. અસરગ્રસ્ત વ્યક્તિઓના નામ નીચે મુજબ છે
સાળંગપુર હનુમાનજીને વિશેષ શણગાર:મંગળવારે એમ્બ્રોઇડરી વાઘા અને ફૂલોથી દાદાને સજાવાયા
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને આજે મંગળવાર નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. બજરંગબલીને એમ્બ્રોઇડરી વર્ક અને ફૂલની ડિઝાઇનવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ઓર્કિડ અને શેવંતીના મિશ્ર ફૂલોથી દાદાનો મનોહર શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરમાં સવારે 5:30 વાગ્યે મંગળા આરતી અને 7:00 વાગ્યે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ અવસરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આરતી અને યજ્ઞ બાદ મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો અને મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.
સોશિયલ મીડિયાના યુગમાં ફેક આઈડી બનાવીને અન્યને બદનામ કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે મોરબીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)ના સક્રિય કાર્યકરને ફેસબુક પર જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી અભદ્ર શબ્દો લખનાર પક્ષના જ સસ્પેન્ડેડ પૂર્વ ઉપપ્રમુખ સામે મોરબી એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. શું છે સમગ્ર મામલો? મૂળ લાલપર ગામના વતની અને હાલ મોરબી સબજેલ સામે વણકરવાસમાં રહેતા ભગવાનજી બાબુભાઈ સાવરીયા (ઉં.વ. 30), જેઓ આમ આદમી પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે સેવા આપે છે, તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપી ચંદ્રકાંત માવજીભાઈ વિરમગામ (રહે. શિવ પેલેસ એપાર્ટમેન્ટ, અવની ચોકડી પાસે)એ પોતાના મોબાઈલમાંથી 'ગોપાલ પટેલ' નામનું ફેક ફેસબુક આઈડી બનાવ્યું હતું. જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ધમકાવ્યા આરોપીએ આ ફેક આઈડી દ્વારા ફરિયાદી ભગવાનજીને નિશાન બનાવી તેમની જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહ્યા હતા અને અત્યંત અભદ્ર શબ્દો ભાંડ્યા હતા. એટલું જ નહીં, આ પોસ્ટ પર હાજર રહેલા અન્ય સાહેદોને પણ અપશબ્દો આપી કોમેન્ટ્સ કરવામાં આવી હતી. આ બાબત ધ્યાન પર આવતાં ફરિયાદીએ ટેકનિકલ પુરાવાઓ સાથે પોલીસનો સંપર્ક કર્યો હતો. ભગવાનજીભાઈની ફરિયાદને આધારે મોરબી એ-ડિવિઝન પોલીસે આરોપી ચંદ્રકાંત વિરમગામ વિરુદ્ધ આઈટી એક્ટ (IT Act) તથા એટ્રોસિટી અને અપશબ્દો બોલવા બદલ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આરોપી અગાઉ આમ આદમી પાર્ટીમાં ઉપપ્રમુખ તરીકે રહી ચૂક્યા છે અને હાલ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસે હાલ આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2026-27 માટેનું ડ્રાફ્ટ બજેટ અને રિવાઇઝ્ડ બજેટ આજે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સ્થાયી સમિતિ સમક્ષ કુલ 7,609.63 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે . આ બજેટમાં રોડ-રસ્તા, પાણી પુરવઠો, ગટરવ્યવસ્થા, ડ્રેનેજ સિસ્ટમ, સ્ટ્રીટ લાઇટ તથા બ્રિજ સહિતના અનેક મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સ માટે જાહેરાતો કરવામાં આવી છે. આ બજેટ આગમી ચૂંટણીને અનુલક્ષીને કરદરને અનુલક્ષી રજૂ કરવામાં આવ્યું છે. કરબોજ વિનાનું બજેટ રજૂ કરાયુંઆગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બજેટને ચૂંટણીલક્ષી બનાવવામાં આવ્યું છે. બજેટમાં કરદરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, જેથી નાગરિકો પર કોઈ વધારાનો બોજ પડશે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સ્થાયી સમિતિ સમક્ષ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યા બાદ, સમિતિમાં ચર્ચા થયા બાદ તેને સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે. સ્થાયી સમિતિના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રી તથા સભ્યો સાથે મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓની બેઠકમાં ચર્ચા બાદ મીડિયાને સંબોધન કરવામાં આવશે. ગત વર્ષના અંદાજપત્રની સરખામણીએ આ વખતના બજેટમાં વધારો કરવામાં આવ્યો છે, જે શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા માટે મહત્વપૂર્ણ છે. આ બજેટ આગામી સમયમાં વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીને અનુલક્ષીને તૈયાર કરવામાં આવ્યું છે. હાલમાં આ બજેટને લઈ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ અને ચીફ એકાઉન્ટન્ટ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્થાયી સમિતિના ચેરમેન અને સભ્યોની હાજરીમાં હાલમાં ચર્ચા શરૂ કરવામાં આવી છે.
ગોધરાની સેન્ટ આર્નોલ્ડ્સ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે 'સાયબર અવેરનેસ' સેમિનારનું આયોજન કરાયું હતું. શાળાના ઓડિટોરિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સાયબર સુરક્ષા ક્ષેત્રના નિષ્ણાત હર્ષ મકવાણા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે તેમની ટીમના સભ્યો પણ હાજર હતા. તેમણે આજના ડિજિટલ યુગમાં સાયબર જાગૃતિના મહત્વ પર ભાર મૂક્યો હતો. મકવાણાએ ઓનલાઈન ફ્રોડ, હેકિંગ, ઓળખ ચોરી અને સાયબર બુલિંગ જેવા ગુનાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે મજબૂત પાસવર્ડ બનાવવાની રીત, વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવાની કાળજી અને શંકાસ્પદ લિંક્સ તેમજ ખોટા સંદેશાઓથી દૂર રહેવા અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વક્તા દ્વારા અપાયેલા સરળ અને વાસ્તવિક ઉદાહરણોને કારણે વિદ્યાર્થીઓને વિષય સરળતાથી સમજાયો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછ્યા હતા, જેના જવાબો વક્તાએ ધીરજપૂર્વક આપ્યા હતા. આ સેમિનાર માહિતીપ્રદ અને લાભદાયક સાબિત થયો.
રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ નવા પાયલોટને તૈયાર કરી રહ્યું છે. અહીં ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ હોવાથી પાઇલોટ્સને ફ્લાઈટ લેન્ડિંગની તાલીમ આપવામાં આવે છે. જેથી અહીં દૈનિક 10 ફ્લાઈટની અવરજવર રહે છે. અહીં મહેસાણા, અમરેલી અને ભાવનગરની ફ્લાઇંગ એકેડેમી તેમજ મુંબઈ રિલાયન્સના પાયલોટસને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેથી હિરાસરમાં સ્થિત આ એરપોર્ટ એર ટ્રાવેલ પોઇન્ટની સાથે નવા પાયલોટસ માટે હબ બની રહ્યું છે. ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે હિરાસરમાં સ્થિત છે. અહીં 3040 મીટરનો લાંબો અને આધુનિક સગવડ સાથેનો રન વે, નવી ટેક્નિકથી સજ્જ ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS), ઈમરજન્સી બ્રેકીંગ તેમજ નાઈટ લેન્ડિંગની સગવડ હોવાને કારણે તાલીમ માટે અનુકૂળ રહે છે. આ વિશે મળતી વિગતો મુજબ મહેસાણાથી ગુજરાત ફ્લાઈંગ કલબ, અમરેલીથી વિઝન ફ્લાઈંગ ઇન્સ્ટિટયુટ, ભાવનગરની ડ્યુન્સ એર એકેડમીનાં તાલીમી પ્લેન રાજકોટનાં એરપોર્ટ અને નેવિગેશન રૂટ પર ટ્રેનિંગ મેળવે છે. આ ઉપરાંત ભુજ અને જામનગર એરફોર્સથી પણ અનેક વખત પ્રેક્ટિસ માટે એર ક્રાફટ આવતા હોય છે. મુંબઈમાં પાયલોટ્સને ટ્રેનિંગ માટેની ફ્લાઈટને સ્લોટ ન મળતા ત્યાંથી રિલાયન્સ કંપનીના પાયલોટ્સને પણ અહીં જ ટ્રેનિંગ આપવામાં આવે છે. અહીં સવારે 10.30 થી 12.30 અને ત્યારબાદ બપોરે 3 થી 4 વાગ્યા વચ્ચે આ ટ્રેનિંગ પ્લેન આવે છે. ટીમના જણાવ્યા મુજબ ખાસ કરીને અહીં લેન્ડિંગ અને ટેકઓફની તાલીમ સાથે એરપોર્ટ ગ્રાઉન્ડ બેઈઝ નેવિગેશન અને લેન્ડિંગ ઈક્વિપમેન્ટ વિશે માહિતી આપવામાં આવે છે.આ ટ્રેનિંગ માટે એરપોર્ટ ઓથોરિટીને એક ફલાઈટનાં રૂ.800 જેટલું ભાડું ચૂકવવામાં આવે છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હાલ કોમર્શિયલ ફ્લાઈટ ઓપરેશન ઓછું છે. જેના લીધે તાલીમી વિમાનો માટે સ્પેસ મળે છે. ફ્રી રનવે અને ઓપન એર સ્પેસ પાયલોટને જરૂર મુજબ સતત પ્રેક્ટિસ માટે સમય આપે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલ ફાયર રિસ્પોન્સ યુનિટ 2 મિનિટમાં રનવે સુધી પહોંચી શકે તેવી છે. જે તાલીમ દરમિયાન ઈમર્જન્સી રિસ્પોન્સ શીખવા માટે ઉત્તમ માળખુ છે. રાજકોટ એરપોર્ટ પરથી હાલ ઉડાન ભરતી 13 ફ્લાઇટ ફ્લાઇટ નંબર - રૂટ - રાજકોટથી પ્રસ્થાનIGO 6557/6558 - દિલ્હી - 8.05 - દૈનિકAIC 2785/2786 - મુંબઈ - 8.35 - દૈનિકIGO 6133/49FY - મુંબઈ - 9.00 - દૈનિક IGO 6241/6245 - પુણે 10.25 - મંગળ, ગુરૂ, રવિવારAIC 885/886 - દિલ્હી - 10.10 - બુધવાર સિવાયના દિવસોમાંIGO 6372/155 - ગોવા - 12.00 - દૈનિકIGO 154/6371 હૈદરાબાદ - 15.55 - દૈનિકIGO 6507/312J- બેંગલોર - 16.15 - દૈનિકIGO 936/937 - મુંબઈ - 16.55 - દૈનિકAIC 2730/2731 - મુંબઈ - 18.05 - દૈનિકIGO 5025/527J - દિલ્હી- 17.55 - દૈનિકAIC 2537/2538 - દિલ્હી - 20.05 - દૈનિકIGO 317F/274 - મુંબઈ - 19.55 - દૈનિક

29 C