SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
... ...View News by News Source

પાટણમાં ઉત્તરાયણે 5 હજાર કિલો ઊંધિયું, 1000 કિલો જલેબી વેચાશે:ભાવ વધવા છતાં પતંગ રસિયાઓ જયાફત માણવા તૈયાર

પાટણ શહેરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ રસિયાઓ ઊંધિયું, જલેબી અને ફાફડાની જયાફત માણશે. આ વર્ષે ઉત્તરાયણના એક જ દિવસમાં અંદાજે 4 થી 5 હજાર કિલો ઊંધિયું અને 1000 કિલોથી વધુ જલેબીનું વેચાણ થવાનો અંદાજ છે. જોકે, ઘી અને તેલના ભાવ વધારાને કારણે જલેબીના ભાવમાં કિલો દીઠ ₹20 થી ₹100 સુધીનો વધારો જોવા મળશે. વેપારીઓના જણાવ્યા અનુસાર, પાટણવાસીઓ લાખો રૂપિયાના ફાફડા, જલેબી અને ઊંધિયું ઝાપટી જશે. આનંદ ગૃહના પ્રણવ રામી અને સુખડિયા સ્વીટ માર્ટના દિલીપભાઈ સુખડિયાએ આ અંદાજ વ્યક્ત કર્યો હતો. ચાલુ વર્ષે ઘીની જલેબીનો ભાવ ₹450 થી ₹650 પ્રતિ કિલો રહેવાની શક્યતા છે, જે ગત વર્ષની સરખામણીમાં ₹60 જેટલો વધારો દર્શાવે છે. જ્યારે તેલની જલેબીનો ભાવ ₹240 થી ₹280 પ્રતિ કિલો રહેશે, જે ગત વર્ષના ₹240 ની સામે ₹20 થી ₹40 નો વધારો સૂચવે છે. ફાફડાનો ભાવ ₹400 થી ₹440 પ્રતિ કિલો અને ઊંધિયાનો ભાવ ₹200 થી ₹400 પ્રતિ કિલો રહેવાનો અંદાજ છે. આ માહિતી વેપારી આનંદ ગૃહના પ્રણવ રામી, સુખડિયા સ્વીટ માર્ટના દિલીપભાઈ સુખડિયા અને મનુભાઈ ઠાકોરે આપી હતી. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને હાલમાં ઊંધિયા માટે શાકભાજી સમારકામ સહિત જલેબી અને ફાફડા બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ફાફડા, જલેબી અને ઊંધિયાના સ્ટોલ ગોઠવાઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 3:58 pm

મહેસાણામાં પતંગબજારમાં મોંઘવારીનો માહોલ:પતંગ-દોરીના ભાવમાં 25% સુધીનો ઉછાળો, છેલ્લી ઘડીએ ખરીદી માટે પતંગરસિયાઓ ઉમટ્યાં

ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે મહેસાણા શહેરના મુખ્ય રાજમાર્ગો પતંગ-દોરીની હાટડીઓથી ઉભરાઈ રહ્યા છે. શહેરના માર્ગો પર ઠેર-ઠેર પતંગ, ફિરકીઓ, રંગબેરંગી ચશ્માં, ટોપીઓ અને બાળકો માટેના આકર્ષક મુખૌટાઓના સ્ટોલ લાગી ગયા છે. પર્વની અંતિમ ઘડીએ ખરીદી કરવા માટે શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ગ્રાહકોનો બજારમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જોકે, આ વર્ષે પતંગ-દોરીના ભાવમાં થયેલો વધારાને કારણે વેપારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. મોટી ઢાલ, ખંભાતી અને લેમન પ્રિન્ટેડ પતંગોનું ખાસ આકર્ષણસ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પતંગ અને દોરીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. પતંગના ભાવમાં અંદાજે 15% જેટલો વધારો થયો છે. ગત વર્ષે જે પતંગની કોડી 100 રૂપિયામાં મળતી હતી, તેનો ભાવ આ વર્ષે 150 રૂપિયા સુધી પહોંચ્યો છે. બજારમાં હાલ વિવિધ વેરાયટી મુજબ પતંગની કોડી 120 રૂપિયાથી શરૂ થઈને 300 રૂપિયા કે તેથી વધુ ભાવે વેચાઈ રહી છે. આ વર્ષે બજારમાં પંજાબી પતંગ, ઝાલરવાળી પતંગ, મોટી ઢાલ, ખંભાતી અને લેમન પ્રિન્ટેડ પતંગોનું ખાસ આકર્ષણ જોવા મળી રહ્યું છે. પતંગની સાથે દોરીના ભાવમાં પણ 20 થી 25% જેટલો તોતિંગ વધારો ઝીંકાયો છે. મહેસાણાવાસીઓ ઉત્તરાયણની છેલ્લી ઘડીની તૈયારીઓમાં વ્યસ્તમોંઘવારીના માહોલ હોવાથી પતંગ રસિયાઓના ઉત્સાહમાં થોડી ઓટ દેખાઈ રહી છે, જેના કારણે કેટલાક વેપારીઓ મંદીનો અનુભવ કરી રહ્યા છે. તેમ છતાં, ખાણી-પીણીના બજારમાં તેજીનો માહોલ યથાવત છે. ઉત્તરાયણના દિવસે અગાસી પર આકાશી યુદ્ધની સાથે ઊંધિયું-જલેબી, ચીકી અને કચરીયાની જ્યાફત ઉડાવવા માટે લોકો અત્યારથી જ ફરસાણ માર્ટમાં બુકિંગ કરાવી રહ્યા છે. એકતરફ વધતા ભાવ અને બીજી તરફ પર્વનો આનંદ, આ બંને વચ્ચે મહેસાણાવાસીઓ અત્યારે ઉત્તરાયણની છેલ્લી ઘડીની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 3:55 pm

ઉતરાયણ પૂર્વે બજારમાં ભીડ, ચાઈનીઝ દોરીનો બહિષ્કાર:​જૂનાગઢના આઝાદ ચોકમાં પતંગબજાર ખીલી, 10થી 150 સુધીની વેરાયટી; SPએ ચાઇનીઝ દોરી ન વેંચવા, ખરીદવા અપીલ કરી

​આવતીકાલે ઉતરાયણનો પર્વ છે, ત્યારે નવાબી નગરી જૂનાગઢના બજારોમાં પતંગ-દોરાની ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. શહેરના આઝાદ ચોક, પોસ્ટ ઓફિસ રોડ સહિતના વિસ્તારોમાં પતંગ રસિયાઓનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્થાનિક વેપારી સાગર કટારિયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે બજારમાં 10થી લઈ 150 સુધીની પતંગો ઉપલબ્ધ છે. ખાસ કરીને ખંભાતની પ્રખ્યાત પતંગોનું આકર્ષણ વધુ છે. તેમણે ઉમેર્યું કે, અમે 'વોકલ ફોર લોકલ' અભિયાનને પ્રોત્સાહન આપી રહ્યા છીએ અને માત્ર રાજ્યની જ પતંગોનું વેચાણ કરીએ છીએ. આ વર્ષે ભગવાનના ચિત્રો વાળી અને મેટલ ફિનિશ ધરાવતી નાની પતંગો પણ ડિમાન્ડમાં છે. જૂનાગઢના વેપારીઓનો ચાઈનીઝ દોરી ન વેચવાનો મક્કમ નિર્ણય પર્યાવરણ અને પક્ષીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જૂનાગઢના વેપારીઓએ ચાઈનીઝ દોરી ન વેચવાનો મક્કમ નિર્ણય કર્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, આ વર્ષે ગ્રાહકોમાં પણ જાગૃતિ આવી છે અને લોકો ચાઈનીઝ દોરીની માગ ઘટાડી રહ્યા છે. કંપનીઓએ પણ સરકારની ગાઈડલાઈન મુજબ ઈકો-ફ્રેન્ડલી અને સુરક્ષિત દોરા બજારમાં મૂક્યા છે, જે પક્ષીઓ કે માનવીને ગંભીર ઈજા ન પહોંચાડે. કાગળના ભાવમાં વધારો થતા પતંગોના ભાવમાં ગત વર્ષની સરખામણીએ થોડો ઉછાળો જોવા મળ્યો છે, તેમ છતાં જૂનાગઢના લોકોમાં ઉતરાયણનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સાંજ પડતા જ બજારો રોશનીથી ઝળહળી ઉઠ્યા છે અને પતંગ રસિયાઓ મોડી રાત સુધી ખરીદી કરતા નજરે પડી રહ્યા છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત​જુનાગઢ SP સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, આવતીકાલે મકરસંક્રાંતિનો તહેવાર હોય, જૂનાગઢ શહેરના મુખ્ય બજારોમાં લોકો પતંગ અને દોરાની ખરીદી કરવા આવતા હોય છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ખાસ કરીને સરકાર દ્વારા ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જૂનાગઢ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે, કોઈ વેપારી પ્રતિબંધિત દોરીનું વેચાણ ન કરે. પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ થતું જણાય તો પોલીસને જાણ કરવીઅમે જનતાને પણ અપીલ કરીએ છીએ કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે, કારણ કે તે પક્ષીઓ અને મનુષ્યો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. જો કોઈ પણ જગ્યાએ આવી પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ થતું જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. શાંતિપૂર્ણ રીતે અને સુરક્ષિત રીતે સૌ ઉત્સાહભેર આ તહેવાર ઉજવે તેવી અમારી અપીલ છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 3:45 pm

પોરબંદર નજીક દરિયામાં ડોલ્ફીનનું ઝૂંડ નજરે પડ્યું:સ્થાનિકો અને માછીમારોમાં ખુશી, કુદરતનું અનોખું દૃશ્ય

પોરબંદર જિલ્લાના દરિયાકાંઠે ફરી એકવાર ડોલ્ફીનનું ઝૂંડ જોવા મળ્યું છે. પોરબંદર નજીકના ગોસા-ટુકડા ગામના દરિયામાં તાજેતરમાં ડોલ્ફીનનો મોટો સમૂહ નજરે પડ્યો હતો, જેને કારણે સ્થાનિક માછીમારો અને દરિયાકાંઠે આવેલા લોકોમાં આનંદ છવાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક સમયથી પોરબંદરથી માધવપુર વચ્ચેના દરિયામાં ડોલ્ફીન વારંવાર દેખાઈ રહી છે. ગોસા ગામ નજીક ડોલ્ફીનનો સમૂહ કૂદકા મારતો અને એકબીજા સાથે રમતો જોવા મળ્યો હતો. આ દૃશ્ય જોઈ સ્થાનિકોએ પોતાના મોબાઈલમાં વીડિયો અને ફોટા કેદ કર્યા હતા. માછીમારો જણાવે છે કે ડોલ્ફીનનું દેખાવું એ દરિયાની સ્વચ્છતા અને સમૃદ્ધ પર્યાવરણનું સૂચક છે. ડોલ્ફીન સામાન્ય રીતે સ્વચ્છ પાણીમાં જ જોવા મળે છે, તેથી તેમનું આવાગમન સમુદ્રી પર્યાવરણ માટે સકારાત્મક સંકેત આપે છે. ઉલ્લેખનીય છે કે પોરબંદર દરિયાકાંઠો ડોલ્ફીન જોવા માટે ધીમે ધીમે જાણીતો બની રહ્યો છે. અગાઉ પણ માધવપુર અને આસપાસના વિસ્તારોમાં અનેક વખત ડોલ્ફીન દેખાઈ હોવાના કિસ્સાઓ નોંધાયા છે. સ્થાનિક લોકો અને પર્યાવરણપ્રેમીઓએ આ દૃશ્યને કુદરતની અનોખી ભેટ ગણાવી છે. તેમણે દરિયાઈ પર્યાવરણના સંરક્ષણ માટે વધુ જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 3:21 pm

પાટણમાં ઉત્તરાયણ પૂર્વે બજારમાં ભારે ભીડ:પતંગ-દોરી ઉપરાંત નાસ્તા-પાણી, શેરડી, બોર અને ઊંધિયા બનાવવા માટે શાકભાજીની ખરીદી

પાટણ શહેર સહિત જિલ્લામાં ઉત્તરાયણ પૂર્વે પતંગ અને દોરી બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. લોકોએ ઉત્તરાયણની ઉજવણી માટે પતંગ-દોરી ઉપરાંત નાસ્તા-પાણી માટે શેરડી, બોર અને ઊંધિયા બનાવવા માટે શાકભાજીની પણ ખરીદી કરી હતી. બુધવારે ઉત્તરાયણ હોવાથી જિલ્લાભરના લોકોએ વિવિધ શહેરોમાં પતંગ-દોરીની ખરીદી માટે ભારે ધસારો કર્યો હતો. પાટણ શહેરના ચતુર્ભુજબાગ, હીંગળાચાચર ચોક, બગવાડ, જુનાગંજ અને મેન બજાર જેવા વિસ્તારોમાં પતંગ-દોરી ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઉત્તરાયણના આગલા દિવસે પતંગ-દોરીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. છૂટક બજાર ના સૂત્રો અનુસાર, ફીરકીમાં રૂ. 50 અને પતંગોમાં કોડીના રૂ. 5 થી 10નો વધારો થયો હતો. બરેલીની રિયાસત, એ.કે. 56 અને પાંડા જેવી બ્રાન્ડની દોરીની માંગ વધુ રહી હતી. પતંગ રસિયાઓમાં ઉત્તરાયણને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવામાનના જાણકારો અનુસાર, ઉત્તરાયણના દિવસે 5 થી 15 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ પવન રહેશે, જે પતંગ ચગાવવા માટે અનુકૂળ રહેશે. પવનની અનુકૂળ ગતિની શક્યતાઓને પગલે પતંગ રસિકોમાં આનંદ છવાયો છે અને ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મકરસંક્રાંતિનો તહેવાર સૂર્યની ઉત્તર દિશા તરફ ગતિ શરૂ થવાનો સંકેત આપે છે, જેનાથી દિવસો લાંબા થાય છે. આ પર્વ દાન-પુણ્ય કરવાનો અને જીવનમાં પુણ્ય કમાવવાનો પણ અવસર છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 3:16 pm

પાટણ જિલ્લામાં 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન:પક્ષીઓની સારવાર માટે 275 લોકોની ટીમ, 27 કેન્દ્રો કાર્યરત

પાટણ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા માટે 20 જાન્યુઆરી, 2026 દરમિયાન ‘કરુણા અભિયાન’ હાથ ધરવામાં આવશે. આ અભિયાનમાં પક્ષીઓની સારવાર માટે વન વિભાગના 105 કર્મચારીઓ, 18 પશુ ચિકિત્સા અધિકારીઓ અને વિવિધ સંસ્થાઓના 152 સ્વયંસેવકો મળી કુલ 275 લોકોની ટીમ કાર્યરત રહેશે. જિલ્લામાં 1 કન્ટ્રોલ રૂમ, 11 કલેક્શન સેન્ટર અને 15 સારવાર કેન્દ્રો સહિત કુલ 27 કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર અને મદદ માટે વન વિભાગ દ્વારા 24*7 હેલ્પલાઇન નંબર 1926 અને કરુણા એમ્બ્યુલન્સ માટે 1962 નંબર જાહેર કરવામાં આવ્યો છે. પાટણ વન વિભાગના કન્ટ્રોલ રૂમ નંબર 02766-225850 પર પણ સંપર્ક કરી શકાશે. નાગરિકો વોટ્સઅપ નંબર 8320002000 પર 'hi' અથવા 'Karuna' લખીને નજીકના સારવાર કેન્દ્રની માહિતી મેળવી શકશે. વીજળી સંબંધિત ફરિયાદો માટે 19121 અથવા 1800 233 155335 ટોલ ફ્રી નંબર કાર્યરત છે. ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ માંઝા, સિન્થેટીક દોરી અને પ્લાસ્ટિકની દોરીના વેચાણ તેમજ વપરાશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. પ્રતિબંધિત દોરીના વેચાણ સામે કાર્યવાહી કરવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા પક્ષીઓને બચાવવા માટે સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ઉડાડવા તેમજ રહેણાંક વિસ્તારની આસપાસ ભરાયેલી દોરીનો યોગ્ય નિકાલ કરવા અપીલ કરવામાં આવી છે. ગત વર્ષોના આંકડા મુજબ, પાટણ જિલ્લામાં વર્ષ 2021 થી 2025 દરમિયાન કુલ 745 પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી, જેમાંથી 659 પક્ષીઓને બચાવવામાં સફળતા મળી હતી. વર્ષ 2025માં 154 પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી, જેમાંથી 80 ટકા પક્ષીઓ જીવંત રહ્યા હતા. આ વર્ષે પણ વધુમાં વધુ પક્ષીઓના જીવ બચાવવા માટે વિવિધ 10 જેટલી સેવાભાવી સંસ્થાઓના સ્વયંસેવકો અભિયાનમાં જોડાયા છે. વધુમાં, જો કોઈ ઈજાગ્રસ્ત પક્ષી મળે તો તેની આંખો કપડાથી ઢાંકીને તેને કાણાવાળા બોક્સમાં રાખવા અને મોઢામાં પાણી કે ખોરાક ન આપવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 3:14 pm

અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બે અકસ્માતમાં બેના મોત:તરસાલી ચોકડી પાસે યામાહા FZ-S બાઈક સ્લીપ ખાઈ જતા પાછળ બેઠેલ યુવકે જીવ ગુમાવ્યો, ગોલ્ડન ચોકડી પાસે અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત

અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 ઉપર ગોલ્ડન બ્રિજ નજીક બાઇક સવાર યુવકનું એક અજાણ્યા વાહનની ટક્કરથી મોત થયું છે. ઘટનાની જાણ થતા હરણી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બીજી ઘટનામાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 ઉપર તરસાલી બ્રિજ પહેલાં સર્વિસ રોડ પર એક બાઈક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે. મૃતકના કાકા વિજયકુમાર ભાઈલાલભાઈ વાળંદ (ઉંમર 50, રહેવાસી મોરલીધર મંદિ ફળિયું, અમલીયારા ગામ, વડોદરા) દ્વારા હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમની ફરિયાદ અનુસાર નીમેશકુમાર રજનીકાંતભાઈ વૈધ (ઉંમર 44, રહે. અમલીયારા ગામ, મોરલીધર મંદિર ફળિયું, તા. જિ. વડોદરા)ના મિત્ર લલિતભાઈ અંબાલાલ પરમારે ઘરે આવીને જણાવ્યું હતું કે, નીમેશની બાઇક ગોલ્ડન બ્રિજ ઉતરતા NH-48 પર એક્સિડન્ટ થયો છે. ત્યારબાદ વિજયકુમાર વાળંદ, યોગેશભાઈ વૈધ અને બીપીનભાઈ વૈધ સ્થળે પહોંચ્યા ત્યારે નીમેશ રોડ પર પડેલો હતો અને માથાના ભાગે ગંભીર ઈજા સાથે શરીર પર અનેક નાની-મોટી ઈજાઓ હતી. આસપાસના લોકો અને હોટલના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, અજાણ્યા વાહનના ચાલકે બેદરકારીપૂર્વક અને ઝડપથી વાહન ચલાવીને મોટરસાયકલને ટક્કર મારી હતી. ટક્કર બાદ અજાણ્યો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્થળ પર જ 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી, જેમાં ફરજ પરના ડોક્ટરે તપાસ કરીને નીમેશને મૃત જાહેર કર્યો હતો. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તરસાલી બ્રિજ પાસે બાઈક અકસ્માતમાં એકનું મોત, એક ઘાયલ રાજેશભાઈ ઠાકોર અને તેમના મિત્ર શ્યામ યાદવ યામાહા FZ-S મોટરસાયકલ પર ખટંબા ખાતે મિત્રને મળવા ગયા હતા. ત્યારબાદ શંકરપુરા ખાતે કામ પૂર્ણ કરી સાંજના આશરે 7:15 વાગ્યે ઘરે પરત ફરી રહ્યા હતા. રાજેશભાઈ બાઈક ચલાવતા હતા અને શ્યામ યાદવ પાછળ બેઠા હતા. સાંજના આશરે 7:45 વાગ્યાની આસપાસ તરસાલી બ્રિજ પહેલાં સર્વિસ રોડ પર પહોંચતાં સામેથી એક મોટું વાહન અચાનક દેખાતાં રાજેશભાઈ ગભરાઈ ગયા અને અચાનક બ્રેક મારતાં બાઈક સ્લિપ થઈને પડી ગઈ હતી. આ અકસ્માતમાં રાજેશભાઈને ડાબા ખભા અને ડાબી આંખની ઉપરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. રાહગીરીઓ દ્વારા 108 એમ્બ્યુલન્સ બોલાવીને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. શ્યામ યાદવનું મોત થયું હતું.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 3:09 pm

તલના લાડુના 'ઓવરડોઝ'થી નંદિનીએ માતૃત્વ ગુમાવ્યું:હજારો લોકોએ ખવડાવેલા લાડુને કારણે હવે ક્યારેય વાછરડાને જન્મ નહીં આપી શકે, અતિશય તલના લાડુ-લાપસીથી મોત પણ થઈ શકે: એક્સપર્ટ

સુરતના કતારગામ ખાતે આવેલા મહાનગરપાલિકાના વર્મી કમ્પોસ્ટિંગ પ્લાન્ટમાં રહેલી નંદિની ગાયની કરુણ ગાથા માનવીની અણસમજ અને અતિ-ભક્તિના માઠા પરિણામોનો જીવંત પુરાવો છે. વર્ષ 2019ની મકરસંક્રાંતિએ ગૌભક્તો દ્વારા પુણ્ય કમાવાની લ્હાયમાં ખવડાવવામાં આવેલા ક્વિન્ટલો મોઢે લાડુ અને ઘૂઘરીના કારણે આ ગૌમાતાના પાચનતંત્ર અને ગર્ભાશય પર એવી ગંભીર અસર થઈ કે તે આજીવન માતૃત્વના સુખથી વંચિત થઈ ગઈ છે. સેનિટરી સબ ઇન્સ્પેક્ટર એન. સી. પટેલ ભાવુક હૃદયે સમજાવે છે કે ગાયના જઠરમાં રહેલા સૂક્ષ્મ જીવોને નવો ખોરાક પચાવતા દિવસો લાગે છે, ત્યારે એક જ દિવસમાં અપાતું ભારે મિષ્ટાન્ન ગાય માટે ઝેર સમાન બની જતું હોય છે. નંદિની જેવી બીજી કોઈ ગૌમાતા વંધ્યત્વનો શિકાર ન બને તે માટે હવે નાગરિકોએ પરંપરાગત ભક્તિમાં વિજ્ઞાન અને વિવેક ભેળવીને પશુઓના આહારની મર્યાદા સમજવી અત્યંત અનિવાર્ય બની છે. પુણ્ય કમાવાની ઉતાવળે એક મૂંગા જીવનું જીવનને મુશ્કેલીમાં મૂકી દીધુંસુરતના કતારગામ વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના વર્મી કમ્પોસ્ટિંગ પ્લાન્ટમાં વર્ષોથી સેવા આપતા સેનિટરી સબ ઇન્સ્પેક્ટર એન. સી. પટેલે જણાવ્યું હતું કે, ગાય માત્ર પશુ નથી, પણ જીવંત આસ્થાનું પ્રતીક છે. નંદિની એ 2019માં એક સુંદર વાછરડાને જન્મ આપ્યો હતો, પણ આજે તે માતૃત્વના સુખથી વંચિત છે. તેની આ પીડા પાછળ કોઈ બીમારી નહીં, પણ મકરસંક્રાંતિના દિવસે આપણે ખવડાવેલું અતિશય ભોજન જવાબદાર છે. અહીં ખાતરની ગુણવત્તા સુધારવા માટે ગાયો રાખવામાં આવી છે, કારણ કે ગૌમૂત્ર અને છાણ વગર કુદરતી ખાતરની કલ્પના શક્ય નથી. પરંતુ, માનવીની અણસમજ અને 'પુણ્ય' કમાવાની ઉતાવળે એક મૂંગા જીવનું જીવન કઈ રીતે મુશ્કેલીમાં મૂકી દીધું છે, તે નંદિનીની સ્થિતિ પરથી સમજાય છે. 'લોકો તલના લાડુ, ઘઉંની ઘૂઘરી કે બાજરાની ખીચડી ગાયને ખવડાવે છે'આપણા શાસ્ત્રોમાં દાનનો મહિમા છે, પણ એ દાન જ્યારે વિવેક વગરનું બને ત્યારે તે પાપમાં પરિવર્તિત થઈ જાય છે. મકરસંક્રાંતિના પવિત્ર પર્વે સુરતના હજારો ગૌભક્તો ગૌશાળાઓમાં ઉમટી પડે છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે ગાય માતા તેમના હાથે જ તલના લાડુ, ઘઉંની ઘૂઘરી કે બાજરાની ખીચડી આરોગે. એક વ્યક્તિ લાડુ ખવડાવે તે ઠીક છે, પણ જ્યારે હજારો લોકો એક જ દિવસમાં, એક જ ગાયને ક્વિન્ટલો મોઢે આવો ભારે ખોરાક ખવડાવે છે, ત્યારે તે ગાયના શરીર માટે ઝેર સમાન બની જાય છે. નંદિની સાથે પણ 2019ની ઉત્તરાયણે આવું જ થયું હતું. ભક્તોના અતિશય લાડુ અને ખીચડીએ તેના ગર્ભાશય અને પાચનતંત્ર પર એવી ગંભીર અસર કરી કે ત્યાર પછી તે ક્યારેય ગર્ભ ધારણ કરી શકી નથી. એક માતા હોવા છતાં, તે ફરી ક્યારેય વાછરડાને જન્મ આપી શકશે નહીં તે હકીકત કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિનું હૃદય હચમચાવી દે તેવી છે. એસિડિટી અને ગેસના કારણે ગાયનું મૃત્યુ પણ થઈ શકેવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો ગાયના શરીરની રચના માનવ શરીર કરતા તદ્દન અલગ છે. એન. સી. પટેલે જણાવ્યું કે, ગાયના જઠરમાં રહેલા સૂક્ષ્મ જીવો (માઇક્રોફોલા) કોઈપણ નવા પ્રકારના ખોરાકને પચાવવા માટે અનુકૂળ થતા 15થી 22 દિવસનો સમય લે છે. જ્યારે આપણે અચાનક જ મકરસંક્રાંતિના દિવસે તેને પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર એવા લાડુ અને ખીચડીનો ઢગલો ખવડાવી દઈએ છીએ, ત્યારે તેના પેટમાં એસિડિટી અને ગેસ એટલી હદે વધી જાય છે કે ગાયનું મૃત્યુ પણ થઈ શકે છે. ભૂતકાળમાં ઘણી ગૌશાળાઓમાં ઉત્તરાયણના બીજા દિવસે ગાયોના ટપોટપ મોત થયા હોવાના કિસ્સા નોંધાયા છે. આપણી શ્રદ્ધા કોઈનો જીવ લેવા માટે નથી, પણ તેને જીવાડવા માટે હોવી જોઈએ. નંદિનીની આંખો આજે પણ જાણે પૂછી રહી છે કે, શું મારે આજીવન વંધ્યત્વ ભોગવવું પડે એ જ તમારી ભક્તિ છે? અચાનક મિષ્ટાન્ન અને રાંધેલો ખોરાક તેના આંતરડામાં સોજો લાવી દેસુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આ પ્લાન્ટમાં ગાયોને ખૂબ જ જતનથી રાખવામાં આવે છે, છતાં પણ લોકોની જીદ આગળ ક્યારેક લાચારી અનુભવાય છે. લોકો ગાયને ખવડાવવા માટે એટલા આતુર હોય છે કે તેઓ ગાયની ક્ષમતાનો વિચાર સુદ્ધા કરતા નથી. પશુ આયુર્વેદ અને વિજ્ઞાન કહે છે કે ગાયને સુકો ચારો અને લીલો ઘાસચારો જ પચવામાં સરળ રહે છે. અચાનક મિષ્ટાન્ન અને રાંધેલો ખોરાક તેના આંતરડામાં સોજો લાવી દે છે. નંદિનીની કૂખ સૂની થઈ ગઈ તેનું કારણ માત્ર એ એક દિવસનું 'અતિ-ભોજન' છે. જો આપણે ખરેખર ગૌસેવા કરવા માંગતા હોઈએ, તો આપણે પશુઓના ડાયેટ એટલે કે આહાર પદ્ધતિને સમજવી પડશે. જો કોઈ પણ જીવને તેની મર્યાદા બહાર ખવડાવવામાં આવે તો તે સેવા નથી પણ અત્યાચાર છે. ગાયને સીધું ખવડાવવાને બદલે સંચાલકો કે કર્મચારીઓને કામગીરી સોંપી દોએન. સી. પટેલે સુરતના નાગરિકોને એક નમ્ર પણ આગ્રહભરી અપીલ કરી કે, જ્યારે પણ તમે ગૌશાળા કે કમ્પોસ્ટિંગ પ્લાન્ટ પર ગાયને ખવડાવવા આવો, ત્યારે તમારી સાથે લાવેલી સામગ્રી ગાયને સીધી ખવડાવવાને બદલે ત્યાંના સંચાલકો કે કર્મચારીઓને સોંપી દો. આ સામગ્રી સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવશે અને ગાયને દરરોજ થોડી-થોડી માત્રામાં આપવામાં આવશે. આનાથી ગાયના સ્વાસ્થ્યને કોઈ નુકસાન નહીં થાય અને તે આખું વર્ષ તમારી આપેલી પ્રસાદી આરોગી શકશે. આમ કરવાથી તમારું પુણ્ય પણ જળવાઈ રહેશે અને ગૌમાતા પણ સ્વસ્થ રહેશે. નંદિની જેવી બીજી કોઈ ગાયે પોતાનું માતૃત્વ ન ગુમાવવું પડે અને ઉત્તરાયણનો તહેવાર કોઈ પશુ માટે અંતિમ દિવસ ન બની જાય તે જોવાની જવાબદારી આપણા સૌની છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 3:07 pm

અમીરગઢ ચેકપોસ્ટ પરથી બે શખ્સો ગાંજા સાથે ઝડપાયા:8.24 લાખનો મુદ્દામાલ જપ્ત, વધુ તપાસ શરૂ

બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે બે શખ્સોને માદક પદાર્થ ગાંજા સાથે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી કુલ 16 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત 8.24 લાખ રૂપિયા આંકવામાં આવી છે. અમીરગઢ પોલીસ બોર્ડર ચેકપોસ્ટ પર નિયમિત ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી રાજસ્થાન રોડવેઝ (RSRTC)ની દેસુરી-આબુરોડ-અમદાવાદ બસને રોકવામાં આવી હતી. બસની તપાસ કરતાં પાછળ રાખેલા બે કટ્ટામાંથી શંકાસ્પદ માદક પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે કટ્ટાના માલિકો અંગે પૂછપરછ કરતાં બસમાં બેઠેલા હીરાભાઈ લાડુભાઈ પારગી (રહે. સાડી, કોટડા, ઉદેપુર) અને શ્રવણકુમાર લાલારામ ગમાર (રહે. ભૂલા, પિંડવાડા, સિરોહી) નામના બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. અમીરગઢ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 3:07 pm

પંચમહાલમાં જિલ્લા કક્ષાની રમતગમત સ્પર્ધા યોજાઈ:મેરા યુવા ભારત અંતર્ગત 150થી વધુ યુવાનોએ ભાગ લીધો

ભારત સરકારના યુવા કાર્ય અને ખેલકૂદ મંત્રાલય અંતર્ગત મેરા યુવા ભારત-ગોધરા દ્વારા પંચમહાલ જિલ્લા સ્તરીય રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરાના નદીસર ખાતે આવેલી શ્રી મહાજન ઇંગ્લિશ સ્કૂલમાં યોજાયેલી આ સ્પર્ધામાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી 150થી વધુ યુવા ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા 12 જાન્યુઆરી, 2026ના રોજ યોજાઈ હતી. આ સ્પર્ધામાં ભાઈઓ માટે કબડ્ડી, ગોળાફેંક અને ચક્રફેંક જેવી રમતોનો સમાવેશ થતો હતો. જ્યારે બહેનો માટે ખો-ખો, 100 મીટર દોડ અને લાંબી કૂદ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની રમતગમતની કુશળતા અને ટીમ સ્પિરિટનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધાના સમાપ્તિ બાદ વિજેતા ટીમો અને ખેલાડીઓને ટ્રોફી તથા પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપનાર રેફરીઓને પણ ભેટ આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહાજન ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય મહેન્દ્રસિંહ રાણા, બાલકૃષ્ણ પરમાર, ધર્મેન્દ્ર પરમાર, નરેન્દ્ર પટેલ, નરેશ રાવલ, રાઠોડ અજય, અનિલ ચૌધરી સહિત સમગ્ર હાઈસ્કૂલના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન મેરા યુવા ભારત ગોધરાના જિલ્લા યુવા અધિકારી વિઠ્ઠલભાઈ ચોરમલે પૂરું પાડ્યું હતું. તેમણે ઉપસ્થિત તમામ યુવા ભાઈઓ અને બહેનોને અભિનંદન પાઠવ્યા હતા અને રમતગમત દ્વારા સ્વસ્થ તથા સશક્ત યુવાન ભારતના નિર્માણ માટે અપીલ કરી હતી.કાર્યક્રમના અંતે તમામ ખેલાડીઓ, આયોજકો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 3:06 pm

બુધવારની મેચ પહેલા ખેલાડીઓએ નેટમાં પરસેવો પાડ્યો, VIDEO:ભારત-ન્યૂઝીલેન્ડ વન ડે સિરીઝની બીજી મેચ રમાશે, રોહિત-કોહલની રાજકોટના મેદાન પર સંભવિત અંતિમ મેચ

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી વન ડે સિરીઝની બીજી મેચ આવતીકાલે (14 જાન્યુઆરી)એ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ પર રમાવાની છે. જેના માટે બંને ટીમો સોમવારે જ રાજકોટ આવી પહોંચી હતી. આજે બપોરે ન્યૂઝીલેન્ડની ટીમ મેદાન પર નેટ પ્રકટિસ માટે પહોંચી હતી અને પરસેવો પાડ્યો હતો. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાંજે સાડા પાંચ વાગ્યે નેટ પ્રેકટિસ માટે આવશે. રાજકોટના નિરંજનશાહ ક્રિકેટ સ્ટેડિયમની વાત કરીએ તો અહીં અત્યાર સુધીમાં ચાર વનડે મેચ રમાઈ ચૂકી છે. જેમાં ટીમ ઈન્ડિયાની એકમાં જીત જ્યારે ત્રણમાં હાર થઈ છે. અહીં બેટીંગ પીચ હોય 14મી જાન્યુઆરીએ રમાનારી વનડે મેચમાં રનનો વરસાદ જોવા મળી શકે છે. રાજકોટના મેદાન પર રોહિત અને કોહલની સંભવિત અંતિમ વનડે મેચ હોય શકે છે. ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમવાર રાજકોટમાં વનડે રમશેભારત ન્યુઝીલેન્ડ સામેની મેચમાં વડોદરા ખાતે પ્રથમ મેચમાં ભારતની ભવ્ય જીત થઇ છે અને હવે આવતીકાલે બીજી વનડે મેચ રાજકોટમાં નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહી છે. ત્યારે ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ વખત રાજકોટમાં વનડે મેચ રમવા માટે મેદાનમાં ઉતરનાર છે અને ભારતની ટીમના 8 ખેલાડીઓ અગાઉ પણ આ મેદાન પર મેચ રમી ચુક્યા છે ત્યારે આવતીકાલની મેચમાં ભારતની જીત થાય છે કે પછી અગાઉના સ્કોર મુજબ વનડે મેચ ભારત માટે અનલક્કી બની રહેશે તે જોવું મહત્વનું રહેશે. 14મી જાન્યુઆરીની મેચ પૂર્વે આજે ટીમોએ નેટ પ્રકટિસ કરીરાજકોટ જામનગર રોડ પર ખંઢેરી ગામ સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ પર આવતીકાલે 14 જાન્યુઆરીના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર વનડે મેચને લઇ આજે બપોરના 1.30 વાગ્યે ન્યુઝીલેન્ડ ટીમ નેટ પ્રેક્ટિસ શરૂ કરી છે જેમાં માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, વિલ યંગ, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, મિચેલ હે (વિકેટકીપર), ઝાકરી ફોલ્કેસ, ક્રિસ્ટિયન ક્લાર્ક, કાઇલ જેમીસન અને આદિત્ય અશોક સહિતના ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા હતા. ટીમ ઈન્ડિયા નેટ પ્રકેટિસ માટે સાંજે મેદાનમાં ઉતરશેજયારે સાંજના 5.30 વાગ્યે ભારતની ટિમ નેટ પ્રેક્ટિસ કરવાની છે. જેમાં શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવીન્દ્રા જાડેજા, કુલદિપ યાદવ, અર્શદિપ સિંઘ, મોહમ્મદ સિરાજ, અને પ્રસિદ્ધ ક્રિષ્ના સહિતના ખેલાડીઓ નેટ પ્રેક્ટિસ કરવા મેદાન પર પહોંચશે. રિષભ પંત બાદ વોશિંગટન સુંદર પણ ઈજાગ્રસ્ત થતા તે પણ રાજકોટમાં આવતીકાલની મેચ રમી શકશે નહિ જયારે પંતની જગ્યાએ ધ્રુવ જુરેલને સ્થાન આપવામાં આવ્યું છે જેને તાજેતરમાં જ રાજકોટ ખાતે રમાયેલ વિજય હઝારે ટ્રોફીમાં કુલ 7 મેચમાં ચાર ફિફટી અને બે સદી મદદથી 558 રન બનાવ્યા હતા. જેમાં બે સદીમાં એક વખત 160 અને બીજી વખત 123 રન બનાવ્યા હતા. રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અત્યાર સુધીમાં 13 ઈન્ટરનેશનલ મેચ રમાયાઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં રાજકોટનાં નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કુલ 13 આંતરરાષ્ટ્રીય મેચ રમાયા છે. જેમાં 3 ટેસ્ટ, 6 T-20 અને 4 વન ડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જાન્યુઆરી 2025માં પ્રથમ વખત ભારતની વુમન્સ ટિમ પણ રાજકોટની મહેમાન બની હતી અને નવેમ્બર 2025માં ભારત-A અને દક્ષિણ આફ્રિકા-A ટિમ પણ રાજકોટની મહેમાન બની હતી અને 3 વનડે મેચની સિરીઝ નિરંજન શાહ સ્ટેડિયમમાં રમી હતી. અત્યાર સુધી રાજકોટમાં કુલ ચાર વનડે મેચ રમાયા છે જેમાં ઓસ્ટ્રેલિયા સામે બે અને દક્ષિણ આફ્રિકા તેમજ ઇંગ્લેન્ડ સામે એક-એક મેચ રમાયા છે જે ચાર મેચ પૈકી માત્ર ઓસ્ટ્રેલિયા સામેની એક જ વનડે મેચમાં ભારતની જીત થવા પામી છે અને બાકીની ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સમાચાર પણ વાંચોઃરાજકોટ પહોંચેલા ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરાયું ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 14મી જાન્યુઆરીએ રમાનારી વનડે શ્રેણીના બીજા મુકાબલા માટે આજે બંને ટીમો રાજકોટ ખાતે આવી પહોંચી હતી. જેમાં ન્યુઝીલેન્ડની ટીમ ખાનગી હોટલ અને ભારતીય ક્રિકેટ ટીમ સયાજી હોટલ પહોંચી હતી. ભારતીય ક્રિકેટરો આવવાના હોવાથી હોટલ બહાર મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડયા હતા. ભારતીય ટીમના ખેલાડીઓનું સયાજી હોટલ ખાતે ઢોલ-નગારા અને પરંપરાગત રાસ-ગરબા સાથે સ્વાગત કરાયું હતું. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 2:36 pm

રાજકોટમાં વિદ્યાર્થીઓએ પતંગની વિશાળકાય માનવઆકૃતિ રચી:ચાઈનીઝ દોરીનો ઉપયોગ ના કરવાના શપથ લીધા, 250થી વધુ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો જોડાયા

રાજકોટ શહેરની વિરાણી હાઈસ્કૂલના 250 જેટલા વિદ્યાર્થીઓએ આજે મકરસંક્રાંતિના એક દિવસ પૂર્વે પતંગની વિશાળકાય માનવ આકૃતિરચી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોએ દિવસ દરમિયાન જ પતંગ ઉડાવી અને ચાઈનીઝ દોરી નો ઉપયોગ ન કરવાના શપથ લીધા હતા. જેથી અબોલ પક્ષીઓની જીવાદોરી ન કપાય. પતંગની માનવ આકૃતિ રચી ચાઇનિઝ દોરીનો ઉપયોગ ન કરવાના શપથશાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, વિરાણી હાઇસ્કુલ દરેક તહેવારની અનોખી રીતે ઉજવણી કરે છે જેમાં કેન્દ્રમાં સમાજસેવાનો ભાવ હોય છે. તાજેતરમાં જ 31મી ડિસેમ્બરના ડાન્સ અને ડિનરની પાર્ટીને બદલે વસ્ત્રદાન મહાદાનનો સંકલ્પ સાકાર કરતા વિદ્યાર્થીઓએ 24,000 વસ્તુઓ એકત્ર કરી જરૂરીયાતમંદોને આપ્યા હતા ત્યારે હવે મકરસંક્રાંતિના પતંગની માનવ આકૃતિ રચી ચાઇનિઝ દોરીનો ઉપયોગ ન કરી પતંગ ઉડાવવા માટેના શપથ લીધા છે. જેથી અબોલ પક્ષીઓનો જીવ ન જાય. 250 કરતા પણ વધુ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ભાગ લીધોતેમણે જણાવ્યું કે, ઉતરાયણની પૂર્વ પ્રભાતે વિરાણી હાઈસ્કૂલના ટેકનિકલના વિદ્યાર્થીઓએ સહ અભ્યાસી પ્રવૃત્તિના ભાગરૂપે મેદાનમાં પતંગની વિશાળકાય માનવઆકૃતિ તૈયાર કરી હતી. જેમાં ટેકનિકલના 250 કરતા પણ વધુ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત તેઓએ સવારે 10થી સાંજે 4 વાગ્યા દરમ્યાન જ પતંગ ઉડાડવાના અને ચાઈનીઝ દોરી ન વાપરવાના શપથ લીધા હતા. કાર્યક્રમને અંતે વંદે માતરમ ગાઈને દેશભક્તિના રંગે પતંગોત્સવની ઉજવણી કરી હતી. આ વિશાળકાય પતંગ બનાવવામાં ટેકનિકલ ઇન્સ્ટ્રકટર જે. એન. સરધારા, સ્પોર્ટ્સ ટીચર આર. એલ. બામટા તથા ટેકનીકલના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 2:27 pm

પાટડીમાં બાઈક-છકડા વચ્ચે અકસ્માત, પત્નીની નજર સામે પતિનું મોત:પત્નીને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજા, બેકાબૂ છકડો રોડ નીચે પલટી ખાઈ ગયો

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નજીક ઘાસપુર અને ફુલકી ગામ વચ્ચે બાઇક અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ હતી. મળતી માહિતી મુજબ, માંડલ તાલુકાના રખીયાણા ગામના જતીનભાઈ રસિકભાઈ ઠાકોર અને તેમના પત્ની મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. ત્યારે સામેથી પૂરઝડપે આવતા છકડા સાથે તેમનો અકસ્માત થયો હતો. અકસ્માત બાદ જતીન ઠાકોરને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે તેમની પત્નીને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પાટડી પોલીસ મથકના સાગર કલોત્રા સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે છકડા ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ બેકાબૂ છકડો રોડ નીચે પલટી ખાઈ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 2:27 pm

હિંમતનગરમાં 15 જાન્યુઆરીએ બી.કે. શિવાની દીદીનું આધ્યાત્મિક પ્રવચન:સદા સ્વસ્થ અને ખુશહાલ જીવનની કળા વિષય પર કાર્યક્રમ

હિંમતનગરમાં આંતરરાષ્ટ્રીય પ્રેરક વક્તા બી.કે. શિવાની દીદી 'સદા સ્વસ્થ અને ખુશહાલ જીવનની કળા' વિષય પર આધ્યાત્મિક પ્રવચન આપશે. આ કાર્યક્રમ 15 જાન્યુઆરીના રોજ બેરણા રોડ પર આવેલા મોદી ગ્રાઉન્ડ ખાતે યોજાશે. કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સેવાકેન્દ્ર, હિંમતનગર દ્વારા ઈશ્વરીય સેવાના 50 વર્ષ પૂર્ણ કરવામાં આવ્યા છે, જેની સુવર્ણ જયંતિની ઉજવણી થઈ રહી છે. આ ઉપરાંત, નવીન શાંતિ સરોવર ભવનનું નિર્માણ કાર્ય પણ પૂર્ણતાના આરે છે અને તેમાં સેવાઓ શરૂ થવા જઈ રહી છે. આ કાર્યક્રમ ગુરુવાર, 15 જાન્યુઆરીના રોજ સાંજે 4 કલાકે યોજાશે. મોદી ગ્રાઉન્ડ ખાતે એક લાખ ચોરસફૂટ વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 52x24ફૂટનું સ્ટેજ બનાવવામાં આવશે. દસ હજારથી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. પાર્કિંગ માટે પણ બંને તરફ જગ્યા ફાળવવામાં આવી છે, અને સ્ટેજ પાછળ VIP પાર્કિંગની વ્યવસ્થા રહેશે. આ પ્રથમવારના આયોજનને લઈને બ્રહ્માકુમારીઝના ભાઈઓ અને બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંડપ અને સ્ટેજ સહિતની તમામ કામગીરીની તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે. આ ઉપરાંત, હિંમતનગરના બેરણા રોડ પર આવેલા બ્રહ્માકુમારીના શાંતિ સરોવર કેન્દ્ર ખાતે 17થી 19 જાન્યુઆરી દરમિયાન ત્રિદિવસીય રાજયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ડૉ. બી.કે. દામિનીબેન, રાજયોગ શિક્ષિકા અને સંગીતજ્ઞ, આ શિબિરનું સંચાલન કરશે. આ શિબિર સવારે 7:00થી 8:30 અને રાત્રે 8થી 9:30 કલાક દરમિયાન યોજાશે. હિંમતનગર બ્રહ્માકુમારીઝના બી.કે. જ્યોતિદીદીએ આ રાજયોગ શિબિરનો લાભ લેવા માટે સૌને આમંત્રણ પાઠવ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 2:26 pm

ઊંધિયાના સેમ્પલ લીધા, રિપોર્ટ ઉત્તરાયણ પછી આવશે:સવારથી ફરસાણ-મીઠાઈની દુકાનોમાં ચેકિંગ; ટેસ્ટ કરીને જ ખરીદવા સલાહ

ઉત્તરાયણ પર્વ દરમિયાન ગરમાગરમ ચટાકેદાર ઊંધિયું અને જલેબી લોકો ખાતા હોય છે. ઊંધિયું અને જલેબી ખાવા માટે સવારથી લોકોની લાઈનો લાગતી હોય છે ત્યારે નાગરિકોને શુદ્ધ અને સાત્વિક ખાવા-પીવાની ચીજવસ્તુઓ મળે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં આજ(13 જાન્યુઆરી) સવારથી ફરસાણ- નમકીન અને મીઠાઈની વિવિધ દુકાનોમાં ચેકિંગ શરૂ કર્યું છે. સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે દાસ ખમણ ને કાંકરિયા લખનઉ જલેબીમાં ચેકિંગમ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે દાસ ખમણ હાઉસમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. ઊંધિયું અને જલેબીના સેમ્પલ લેવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. જ્યારે કાંકરિયા આબાદ ડેરીખાતે આવેલી લખનઉ જલેબી નામની દુકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જલેબીમાં કલરનું યોગ્ય પ્રમાણ મળ્યુંરેપિડ ટેસ્ટ કીટથી જલેબીનું ચેકિંગ કરાયું હતું. જલેબીમાં કલર મિક્સ કરવામાં આવ્યો છે કે કેમ જલેબીમાં જે પદાર્થનો ઉપયોગ થયો છે તેનું પ્રમાણ વધારે છે કે ઓછું, તે તમામ બાબતો તાત્કાલિક ખબર પડે એ પ્રમાણે ચેકિંગ કરવામાં આવ્યું હતું. જલેબીમાં ચેકિંગ કરવામાં આવતા કલર વધારે મળી આવ્યો નહોતો અને યોગ્ય પ્રમાણ મળી આવ્યું હતું. સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે ગ્વાલિયા સ્વીટ એન્ડ રેસ્ટોરન્ટમાં ચેકિંગશહેરના સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે આવેલા ગ્વાલિયા સ્વીટ એન્ડ રેસ્ટોરન્ટમાં પણ વિભાગની ટીમ દ્વારા જલેબીના નમુના લેવામાં આવ્યા હતા. ગ્વાલિયા રેસ્ટોરન્ટ ખાતે જલેબી બનાવવામાં આવી હતી જેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. સ્થળ પર જ ટેસ્ટ કીટ વડે અધિકારી દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ગ્વાલિયાની જલેબીમાં ભેળસેળ નહોતીજલેબીમાં પાણીનો ઉમેરો કરી અને ત્યારબાદ ટેસ્ટ કીટ મારફતે તેમાં કેમિકલ નાખવામાં આવ્યું હતું જેનાથી તેમાં કોઈ કલર ભેળવવામાં આવ્યો છે કે કેમ તેની તરત ખબર પડે. જોકે ગ્વાલિયર રેસ્ટોરન્ટમાંથી જે ખરીદવામાં આવ્યું હતું તેમાં કોઈપણ પ્રકારની ભેળસેળ જોવા મળી નહોતી. જો જલેબીમાં કલર મિક્સ કરવામાં આવ્યો હોત તો કલર લાલ થઈ ગયો હોત, પરંતુ તેમાં કોઈપણ ભેળસેળ નહોતી. શહેરમાં આ રીતે સેમ્પલ લેવાની અને ટેસ્ટિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. શ્યામલની સૌરાષ્ટ્ર ફરસાણમાં ઊંધિયું, જલેબી, ફાફડાના સેમ્પલ લીધાશ્યામલ વિસ્તારમાં પણ સૌરાષ્ટ્ર ફરસાણ નામની દુકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઊંધિયું, જલેબી, ફાફડા વગેરેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર ફરસાણમાં જે તેલમાં ફાફડા તળવામાં આવે છે તે તેલની પણ ચકાસણી કરવામાં આવી હતી. જો તેલનું પ્રમાણ વધારે આવે તો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જેથી આ સમગ્ર બાબતે તેલનું પણ ચેકિંગ કર્યું હતું. બોડી વોર્ન કેમેરાનો ઉપયોગઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ખાસ કરીને બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, કારણ કે ફૂડ વિભાગના અધિકારીઓ જ્યારે ચેકિંગમાં જતા હોય છે ત્યારે કેટલાક દુકાન માલિકો દ્વારા આક્ષેપો કરવામાં આવતા હોય છે. જેથી હવે ફૂડ વિભાગની ટીમ દ્વારા બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના મારફતે જ કાર્યવાહી કરવામાં આવે છે. ઊંધિયું ટેસ્ટ કર્યા બાદ જ ખરીદો: ફૂડ સેફ્ટી ઓફિસરAMC ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર રાકેશ પવારે જણાવ્યું હતું કે ઉત્તરાયણના તહેવાર દરમિયાન લોકો ઊંધિયું અને જલેબી ખાતા હોય છે ત્યારે સૌલોકોએ ઊંધિયું એકવાર ટેસ્ટ કર્યા બાદ જ ખરીદવું જોઈએ. કારણકે ઊંધિયું બનાવનાર વિક્રેતાઓ આજે 13 જાન્યુઆરીની રાતથી જ ઊંધિયું બનાવવાની તૈયારી શરૂ કરી દેતા હોય છે અને બીજા દિવસે આ ઊંધિયું લોકો ખાતા હોય છે ત્યારે ઊંધિયું લેવા આવો ત્યારે ટેસ્ટ કર્યા બાદ જ ખરીદવું જોઈએ. કોર્પોરેશનની 5 ટીમોએ ચેકિંગ કર્યુંઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં કુલ પાંચ જેટલી ટીમો દ્વારા ખાણીપીણીની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સિઝનમાં લોકો ઊંધિયું અને જલેબી વધુ ખાતાં હોય છે ત્યારે તેના સેમ્પલ લેવાની પ્રક્રિયા કરવામાં આવી છે. લોકોને ખરાબ જમવાનું ન મળે અને શુદ્ધ સાત્વિક મળે તેના માટે અને કોઈ દુકાનદાર પોતાના ફાયદા માટે ખરાબ ગુણવત્તાવાળો માલ વહેંચે નહીં તે માટે સેમ્પલ લેવાની પ્રક્રિયા કરવામાં આવી છે. સેમ્પલનું 14 દિવસમાં પરિણામ આવશેજે સેમ્પલ લેવાની પ્રક્રિયા કરવામાં આવે છે તેનું સામાન્ય રીતે 14 દિવસમાં પરિણામ આવતું હોય છે, પરંતુ જે સેમ્પલ લેવામાં આવ્યું છે તે કયા પ્રકારનું સેમ્પલ છે અને કયા કયા ટેસ્ટ કરવાના છે તેના ઉપર આધાર હોય છે. જેથી વધુમાં વધુ 14 દિવસમાં પરિણામ આવી જતું હોય છે. જોકે આ સેમ્પલમાં આટલો લાંબો સમય લાગશે નહીં જેથી ઝડપીથી ઝડપી આ સેમ્પલના પરિણામ મળશે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 2:14 pm

સ્વામી વિવેકાનંદ જન્મજયંતિની ઉજવણી:મોડાસા ડી.એલ.એડ કોલેજમાં યુવાદિન નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો

મોડાસાની એમ.કે. શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજમાં સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ 'યુવાદિન' તરીકે ઉજવવામાં આવી હતી. આ કાર્યક્રમ અરવલ્લી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય રોઝલીન એચ. સુવેરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ડાયટ અરવલ્લીના લેક્ચરર વેદાંતીબેન પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત કોલેજના આચાર્ય ડો. સંતોષ દેવકરના સ્વાગત પ્રવચનથી થઈ હતી. આ સમગ્ર કાર્યક્રમ સ્વામી વિવેકાનંદના જીવન અને યુવાદિનના મહત્વને કેન્દ્રમાં રાખીને પ્રાર્થના સભાના ભાગરૂપે આયોજિત કરાયો હતો. પ્રાચાર્ય રોઝલીન સુવેરાએ સ્વામી વિવેકાનંદના જીવનદર્શન અને યુવાદિનના મહત્વ પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. તેમણે પોતાના અનુભવો અને સંઘર્ષની વાતો તાલીમાર્થીઓ સાથે શેર કરી, સખત મહેનત અને શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. કોલેજના પ્રભારી મંત્રી જયેશભાઈ દોશીએ કાર્યક્રમ માટે માર્ગદર્શન અને શુભેચ્છાઓ પાઠવી હતી, જ્યારે મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહે આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે ડી.એલ.એડ કોલેજના તમામ અધ્યાપકો અને મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું અને અંતે, પ્રથમ વર્ષના તાલીમાર્થી શૈલેષ ખાંટે આભાર વિધિ કરી હતી.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 2:09 pm

શિક્ષાપત્રી મંથન:પૈસા-સફળતા માટે ધર્મ ન ભૂલવો: સાધુ પ્રેમવત્સલદાસજી

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ શિક્ષાપત્રીની ૨૦૦મી જયંતી પ્રસંગે જણાવ્યું હતું કે, પૈસા અને સફળતા માટે ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે ધર્મ વગરનું જીવન ખાલી છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ આજના ઘોંઘાટભર્યા અને અશાંત વિશ્વમાં શિક્ષાપત્રી ગ્રંથને એક શાંત અવાજ ગણાવ્યો હતો. તેમણે ઉપદેશ આપ્યો કે, બહાર ભલે બધું બદલાય, પરંતુ તું અંદરથી સાચો અને શાંત રહેજે. તેમણે સ્પષ્ટ કર્યું કે, શિક્ષાપત્રી ૨૦૦ વર્ષ પહેલા લખાઈ હોવા છતાં, તેની સુસંગતતા આજે પણ એટલી જ છે. માનવીનું મન, લાલચ, અહંકાર અને ભય જેવા દુર્ગુણો આજે પણ પ્રવર્તે છે, જે વિનાશ તરફ દોરી જાય છે. આ દુર્ગુણોથી રક્ષા માટે શિક્ષાપત્રી આજે પણ અનિવાર્ય છે. કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના ઉપદેશને યાદ કરતા સાધુ પ્રેમવત્સલદાસજીએ કહ્યું કે, પૈસા અને સફળતા માટે ધર્મ સાથે ચેડા ન કરવા જોઈએ. ધર્મનો લોપ કરીને કોઈ કાર્ય ન કરવું જોઈએ, કારણ કે એક નાની ભૂલ પણ આખું જીવન બરબાદ કરી શકે છે. તેમણે ઉમેર્યું કે, ઘણા લોકો ખોટા કાર્યો કરીને દુનિયામાં પ્રખ્યાત થાય છે, પરંતુ જ્યારે સત્ય બહાર આવે છે, ત્યારે લોકો તે વ્યક્તિને નહીં, પરંતુ તેના ખરાબ કાર્યોને યાદ કરે છે. તેથી, શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં શીખવેલા સિદ્ધાંતો અનુસાર જીવન જીવવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 2:06 pm

મોરબીમાં 112 જન રક્ષક વાને રીક્ષા-કારને હડફેટે લીધી:કોન્સ્ટેબલ સહિત છ લોકોને ઈજા, વાન ચાલક નશામાં હોવાનો આક્ષેપ

મોરબી નજીક લાભનગર પાસે 112 જનરક્ષક પોલીસ વાન દ્વારા રીક્ષા અને કારને હડફેટે લીધા હતા. જેથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં વાન ચાલક કોન્સ્ટેબલ સહિત કુલ છ લોકોને ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સોમવારે રાત્રે આશરે સાડા આઠ વાગ્યાના સુમારે મોરબીના ધરમપુર રોડ પર લાભનગર પાસે બન્યો હતો. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની 112 જનરક્ષક બોલેરો ગાડી લઈને કોન્સ્ટેબલ પેટ્રોલિંગમાં જઈ રહ્યો હતો, ત્યારે તેણે બેફિકરાઈથી વાહન ચલાવી સૌથી પહેલા સામેથી આવતી રીક્ષાને ટક્કર મારી હતી. જે બાદ ઈકો સ્પોર્ટ કારને હડફેટે લીધી હતી. આ અકસ્માત અંગે રિક્ષા ચાલક જગદીશ બાબુભાઈ અગેચાણીયાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, પોલીસ વાનના ચાલકે બેફિકરાઈથી વાહન ચલાવીને પહેલા રીક્ષાને અને ત્યારબાદ પાછળથી આવતી ઇકો સ્પોર્ટ કારને ટક્કર મારી હતી. આ ઘટનામાં ફરિયાદી જગદીશ, તેમની રિક્ષામાં બેઠેલા પારૂલબેન અને સોનુભાઈ યાદવને શરીર પર ઈજાઓ થઈ હતી. વધુમાં, ફરિયાદીની દીકરીઓ જયશ્રી અને મિત્તલને જમણા પગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ દીકરીઓ અને અન્ય બાળકો પાણીના કારખાનેથી કામ પતાવી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, 112 જનરક્ષક પોલીસ વાનનો ચાલક નશાની હાલતમાં હતો. પોલીસે આ ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 2:05 pm

કુમકુમ મંદિરે મકરસંક્રાંતિની ઉજવણી:સાધુ પ્રેમવત્સલદાસજીએ પક્ષી સુરક્ષાની અપીલ કરી

અમદાવાદના કુમકુમ મંદિર, મણિનગર અને પાલડી ખાતે ૧૪ જાન્યુઆરીએ મકરસંક્રાંતિ-ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ પતંગબાજોને પક્ષીઓની સુરક્ષા માટે વિશેષ અપીલ કરી છે. મણિનગર સ્થિત કુમકુમ મંદિરમાં સવારે ૫:૪૫ થી ૭:૦૦ વાગ્યા સુધી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન અને મકરસંક્રાંતિ મહિમાગાન સભા યોજાશે, જેમાં શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી પ્રવચન આપશે. ત્યારબાદ પાલડી કુમકુમ મંદિરમાં સવારે ૭:૩૦ થી ૮:૩૦ દરમિયાન ધૂન અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી દ્વારા મહિમાગાન કરવામાં આવશે. ભગવાનને પતંગ-દોરીના વિશિષ્ટ શણગાર પણ ધરાવાશે. ઉત્તરાયણ એ તારીખ પ્રમાણે દર વર્ષે ૧૪ જાન્યુઆરીએ આવતો તહેવાર છે. પોષ મહિનામાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી તેને 'મકરસંક્રાંતિ' કહેવાય છે. આ દિવસે સૂર્ય પૃથ્વીની પરિક્રમાની દિશા બદલી ઉત્તર તરફ ઢળે છે, જેને 'ઉત્તરાયણ' કહેવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે તલના દાનનો વિશેષ મહિમા છે. ખાસ કરીને તલના લાડવામાં પૈસો મૂકી ગુપ્તદાન કરવામાં આવે છે. આ ઉપરાંત અનાજ, વસ્ત્ર, ઉનના વસ્ત્રો, શેરડી અને વિવિધ ફળોનું દાન કરવાથી શારીરિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે. ગાયોને ઘાસ ખવડાવવાનું પણ મહત્વ છે, કારણ કે આ દિવસે કરાયેલું દાન હજારગણું ફળ આપે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતોને ઝોળીનું દાન આપવાનું પણ વિશેષ મહત્વ છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ પતંગ ચગાવતી વખતે પક્ષીઓની સુરક્ષાનું ધ્યાન રાખવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, 'આપણી મજા કોઈ પક્ષી માટે સજા ન બનવી જોઈએ.' પક્ષીઓનો સંહાર ન થાય અને દોરીથી કોઈની જીવાદોરી ન કપાય તે માટે સાવચેતી રાખવી અનિવાર્ય છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 2:04 pm

ટ્રકચાલકે જજની કારને ટક્કર મારી:ગાંધીનગરના રક્ષા શક્તિ સર્કલ પાસે અકસ્માત સર્જાયો, ડ્રાઈવરનો બચાવ

ગાંધીનગરના રક્ષા શક્તિ સર્કલ પાસે ગઈકાલે સાંજના સમયે ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે જ એક બેફામ ગતિએ આવતા ટ્રક ચાલકે ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજની સરકારી કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સદનસીબે જજ ગાડીમાં હાજર નહોતા અને ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે, પરંતુ સરકારી ગાડીને અંદાજે 50 હજાર રૂપિયા જેટલું મોટું નુકસાન પહોંચ્યું છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોધી કાનુની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રકચાલકે જજની કારને ટક્કર મારીગાંધીનગરના રક્ષા શક્તિ સર્કલ આડેધડ વાહન પાર્કિંગ અને લારીઓના ખડકલા વચ્ચે દરરોજ ટ્રાફિક જામના દૃશ્યો સર્જાતા રહેતા હોવા છતાં તંત્ર ધ્વારા નક્કર પગલાં ભરવામાં આવતા નથી. અહીંના કોમર્શિયલ કોમ્પલેક્ષ આગળ પણ બેઝમેન્ટ ખુલ્લા નહીં હોવાથી સર્વિસ રોડ પણ ચક્કાજામ થઈ જાય છે.જેના લીધે છાશવારે નાના મોટા માર્ગ અકસ્માતો સર્જાતા રહેતા હોય છે. ગઈકાલે સાંજે તો એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની ગાડીને ટ્રકે ટકકર મારી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. સદનસીબે જાનહાનિ ટળીગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની ગાડી (GJ-18-GA-2993) પર ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ રણજીતસિંહ ભાટી ગઈકાલ સાંજના આશરે સવા છ વાગ્યાના અરસામાં મેજિસ્ટ્રેટને તેમના રાંદેસણ સ્થિત નિવાસસ્થાને ઉતારી પરત ગાંધીનગર આવી રહ્યા હતા. આ દરમિયાન સાંજના સાત વાગ્યાના અરસામાં ગિફ્ટ સિટી રોડ પર આવેલા રક્ષા શક્તિ સર્કલ પાસે સિગ્નલ બંધ હોવાથી તેઓ પોતાની લેનમાં ઉભા હતા. ત્યારે સિગ્નલ ખુલતાની સાથે જ પાછળથી આવતા એક ટ્રક ચાલકે સરકારી ગાડીના ડ્રાઈવર સાઈડના ભાગે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે સર્કલ ટ્રાફિક જામ થતાં અફરાતફરી મચી ગઈ હતી આ અકસ્માત એટલો જોરદાર હતો કે સરકારી ગાડીનો ડ્રાઈવર સાઈડનો દરવાજો ટ્રક સાથે ફસાઈ ગયો હતો, જેથી ડ્રાઈવરે બીજી તરફનો દરવાજો ખોલી બહાર નીકળવું પડ્યું હતું. આ અકસ્માતના પગલે ચક્કાજામ થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. બાદમાં પોલીસે તપાસ કરતા અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સંગ્રામ વિક્રમસિંહ ઝાલા (રહે. રોજડ,તા. તલોદ) એ કબૂલાત કરી હતી કે અચાનક બાઈક ચાલક આડો આવતા તેણે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં ગાડીનું ટાયર ફાટી ગયું હતું અને બમ્પર તેમજ દરવાજાના ભાગે નુકસાન થયું છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોધી કાનુની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 1:59 pm

રાપર પોલીસે માર્ગ સલામતીનો સંદેશ આપ્યો:પતંગોત્સવ અને રિફ્લેક્ટર દ્વારા જાગૃતિ અભિયાન ચલાવ્યું

માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત, રાપર પોલીસે માર્ગ સલામતી અને સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે એક અનોખી પહેલ કરી છે. આ પહેલ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. રાપર પીઆઇ જે.બી.બુબડીયા અને ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ મુકેશસિંહ રાઠોડે આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી દરમિયાન પતંગોત્સવના તહેવાર ઉત્તરાયણ નિમિત્તે પતંગો દ્વારા અને વાહનો પર રિફ્લેક્ટર લગાવીને લોકોને ટ્રાફિક નિયમો વિશે સમજાવવામાં આવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત, વાહનચાલકોને હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા, જરૂરી દસ્તાવેજો સાથે રાખવા, આડેધડ પાર્કિંગ ન કરવા, નશો કરીને વાહન ન ચલાવવા અને ચાલુ મોબાઈલે વાહન ન ચલાવવા જેવી મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી. આ જાગૃતિ અભિયાનમાં હેડ કોન્સ્ટેબલ રાજેશસિંહ જાદવ અને ટીઆરબી સ્ટાફ પણ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 1:53 pm

યુનિયનોની મહેનત રંગ લાવી:મહાનગરપાલિકાના કર્મચારીઓને નવા વર્ષની ભેટ, કમિશનરની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીની લીલી ઝંડી, હવે 3 વર્ષમાં જ મળશે કાયમી નિમણૂક

ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે આજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે, જેમાં ઘણા લાંબા સમયની રજૂઆતો અને લડત બાદ મહાનગરપાલિકામાં ફિક્સ પગાર પર ફરજ બજાવતા કર્મચારીઓનો પ્રોબેશન સમયગાળો 5 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરવા માટેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, ​ભાવનગર મ્યુનિસિપલ નોકરિયા સભા અને ભારતીય મજદૂર સંઘ દ્વારા અવારનવાર કમિશનરને રજૂઆત કરવામાં આવતી હતી કે, સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદ જેવી અન્ય મહાનગરપાલિકાઓની જેમ ભાવનગરમાં પણ ફિક્સ પગારનો ગાળો 3 વર્ષ કરવામાં આવ,. આ મામલે વર્તમાન મ્યુનિસિપલ કમિશનરએ કર્મચારીઓની માંગણીઓને વાજબી ગણાવી હકારાત્મક અભિગમ દાખવ્યો હતો અને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ દરખાસ્ત રજૂ કરી હતી, ભવનગર મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ​ઠરાવમાં અન્વયે ફિક્સ પગારનો સમયગાળો ઘટાડવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે, ​ચેરમેન, સમિતિના સભ્યો અને અધિકારીઓએ એકમતે આ નિર્ણયને બહાલી આપી હતી, ​હવે આ ઠરાવને આગામી સામાન્ય બોર્ડમાં આખરી મંજૂરી માટે મોકલવામાં આવશે, આ એક ઐતિહાસિક અને સકારાત્મક નિર્ણય છે અન્ય કોર્પોરેશનની જેમ હવે ભાવનગરના કર્મચારીઓને પણ વહેલી તકે પૂર્ણ પગારનો લાભ મળશે, જેનાથી સેંકડો કર્મચારીઓના પરિવારમાં ખુશી વ્યાપશે, ભારતીય મજદૂર સંઘ અને મ્યુનિસિપલ નોકરિયા સભા ​કર્મચારીઓમાં આનંદનો વ્યાપ વધ્યો હતો, ​આ નિર્ણય બદલ ભારતીય મજદૂર સંઘ અને ભાવનગર મ્યુનિસિપલ નોકરિયા સભા દ્વારા કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો, આ અંગે કર્મચારી મહાસંઘના રાજેશ મંડળીએ જણાવ્યું હતું કે, સરકારની એક નીતિ હતી કે પાંચ વર્ષ ફિક્સમાં નોકરી કર્યા પછી કાયમી કરવા, એ નિર્ણય મહાનગરપાલિકાઓમાં પણ લાગુ પડતો હતો, પણ સમયાંતરે અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ આ બધી મહાનગરપાલિકાઓએ પાંચ વર્ષનો સમયગાળો ઘટાડીને ત્રણ વર્ષ કરવામાં આવેલો હતો તે અનુસંધાને અમે પણ મહાનગરપાલિકાના યુનિયનોએ કમિશનર, ચેરમેન, મેયરને વારંવાર રજૂઆત કરી અને આ સમયગાળો પાંચ વર્ષ ઘટાડી અને ત્રણ વર્ષ કરવા માટે રજૂઆતો કરતા હતા, ​એ અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટીમાં આ દરખાસ્ત આવેલી હતી કમિશનર દ્વારા તો એમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા જે ત્રણ વર્ષ કરવાનો જે નિર્ણય હતો તે સર્વાનુમતે બહુમતીથી મંજૂર કરવામાં આવેલો હતો અને આ નિર્ણય થવાથી મહાનગરપાલિકાના કર્મચારીઓને ખૂબ જ આનંદ અને લાગણી થઈ છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 1:49 pm

સુરેન્દ્રનગરમાં કરૂણા અભિયાન-2026 શરૂ:પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે સઘન આયોજન

ગુજરાત સરકારે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવા માટે રાજ્યવ્યાપી ‘કરૂણા અભિયાન-2026’ શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ 10 તાલુકાઓમાં વન વિભાગ, પશુપાલન વિભાગ અને જીવદયા પ્રેમી સંસ્થાઓના સહયોગથી 10 જાન્યુઆરી, 2026થી પક્ષી સારવાર કેન્દ્રો અને કંટ્રોલ રૂમ કાર્યરત થયા છે. આ કેન્દ્રો પર સ્વયંસેવકો અને સ્ટાફની ટીમ દ્વારા પક્ષીઓને ઝડપી સારવાર પૂરી પાડવામાં આવશે. આ અંગે પાટડી બજરંગ દળના આકાશ પંચાલે જણાવ્યું હતું કે, પાટડીમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘાયલ પક્ષીઓ માટે 'કરુણા અભિયાન' અને પ્રાથમિક સારવાર કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું છે. બજરંગદળ અને મહાકાલ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આકાશ પંચાલના જણાવ્યા અનુસાર, જો ક્યાંય પણ ઘાયલ પક્ષી દેખાય તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર 97731 37727 અથવા 95373 22728 પર જાણ કરવા જણાવાયું છે. વધુમાં, મહાકાલ ગ્રુપ દ્વારા એક કિલો દોરીની ગૂંચ આપનાર વ્યક્તિને 200 રૂપિયાનું રોકડ ઇનામ આપવાની પણ જાહેરાત કરાઈ છે. તાજેતરમાં, તેમની ટીમે 60 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પરથી એક ઘાયલ કબૂતરને નીચે ઉતારી સારવાર આપી હતી. નાગરિકોની મદદ માટે વાઇલ્ડ લાઈફ હેલ્પલાઈન નંબર 8320002000 પર 'karuna' મેસેજ કરવાથી ઓનલાઈન મેપની લિંક મળશે. જ્યારે ‘HI’ મેસેજ કરવાથી તાલુકા વાઈલ્ડ લાઈફ વોર્ડનના નંબર પ્રાપ્ત થશે. આ ઉપરાંત, ઘાયલ પક્ષીની જાણકારી આપવા માટે ટોલ-ફ્રી નંબર 1962 અથવા 1926 પર પણ સંપર્ક કરી શકાશે. સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ઘાયલ પક્ષીઓની મદદ માટે વન વિભાગ અને પશુ દવાખાના દ્વારા ખાસ ટીમો તૈનાત કરાઈ છે. જેમાં સુરેન્દ્રનગર/વઢવાણ (6353910678, 9723318597, 6353118461, 9824479097), મુળી (9427456354, 9427045772, 9574528976, 8200294943), ચોટીલા (9429905525, 9687735448, 8469100580, 8238861432), થાનગઢ (9624137405, 9726107707, 9909553135, 9978178542), લખતર (8905877767, 7405440810, 9725860778, 9978827444), લીંબડી (6352746425, 7211121331, 7567642207), ચુડા (8733941111, 9737112703, 7096958209, 9909492421), સાયલા (9723368024, 7990573342, 9106628141), ધ્રાંગધ્રા (8460013913, 9428371430, 9409486566) અને પાટડી (9925932425, 8780191800, 8866057177, 6353955826) તાલુકા માટે સંપર્ક કરી શકાશે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 1:46 pm

પઢિયાર શાળામાં સ્કૂલ ટ્વીનીંગ કાર્યક્રમ યોજાયો:આથમણા ફળિયા શાળાના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી

પઢિયાર પ્રાથમિક શાળા ખાતે શિક્ષણ વિભાગના નિપુણ ભારત મિશન અંતર્ગત 'ટ્વીનીંગ ઓફ સ્કૂલ્સ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આથમણા ફળિયા વર્ગ વેલવડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પઢિયાર શાળાની મુલાકાત લીધી હતી. આ પહેલનો હેતુ બંને શાળાઓ વચ્ચે જ્ઞાન અને શૈક્ષણિક પદ્ધતિઓના આદાન-પ્રદાન દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. કાર્યક્રમનો પ્રારંભ સમૂહ પ્રાર્થના અને સ્વાગત ગીતથી થયો હતો. મુલાકાતી વિદ્યાર્થીઓ માટે ખાસ તાસ નિદર્શનનું આયોજન કરાયું હતું, જેમાં ધોરણ ૬ માં સામાજિક વિજ્ઞાન, ધોરણ ૭ માં ગણિત અને ધોરણ ૮ માં અંગ્રેજી વિષયનું વર્ગખંડ અધ્યાપન કાર્ય કરાવવામાં આવ્યું. મહેમાન વિદ્યાર્થીઓએ શાળાના બગીચા, પુસ્તકાલય, પ્રયોગશાળા અને શૈક્ષણિક બુલેટિન બોર્ડનું નિરીક્ષણ કરીને નવીન પદ્ધતિઓ વિશે જાણકારી મેળવી. બપોર પછીના સત્રમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં બાળકોએ નૃત્ય, પિરામિડ અને અભિનય ગીતો રજૂ કર્યા. વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધા તેમજ બિસ્કિટ ખાવ, ફુગ્ગા ફોડ અને બોટલ ભરવા જેવી વિવિધ રમતોનું આયોજન કરીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બે શાળાઓ વચ્ચે શ્રેષ્ઠ શૈક્ષણિક પદ્ધતિઓની વહેંચણી અને વિદ્યાર્થીઓમાં સહપાઠીઓ સાથે શીખવાની પ્રક્રિયાને વેગ આપવાનો છે. કાર્યક્રમના અંતે, પઢિયાર શાળાના આચાર્ય કમળાબેન માછી અને સ્ટાફ દ્વારા આથમણા ફળિયાના આચાર્ય રોહિત ગીતાબેન અને શાળાના બાળકોને સ્મૃતિ ભેટ અર્પણ કરીને આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 1:43 pm

પાનવાડી સમિતિએ બાળકો સાથે ઉતરાયણ ઉજવી:ભાવનગરના કેન્દ્ર 92/2 પર પતંગ-દોરીનું વિતરણ કરાયું

ભાવનગર શહેરમાં પાનવાડી વિકાસ સમિતિ દ્વારા ઉતરાયણ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સમિતિએ કેન્દ્ર નંબર 92/2 ના બાળકો સાથે આ પર્વ મનાવ્યો હતો. આવતીકાલે ઉતરાયણનો પર્વ હોવાથી, એક દિવસ અગાઉ જ બાળકોમાં ઉત્સાહ ભરવા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બાળકોને પતંગ, દોરી, સિંગપાક અને સિક્કી જેવી વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ ભેટો મેળવીને બાળકોએ ખૂબ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉત્સાહભેર પતંગ ઉડાડીને પર્વની મજા માણી હતી.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 1:38 pm

સુરત પોલીસે હત્યારાઓને જાહેરમાં લાકડીઓ ફટકારી, VIDEO:રિકન્સ્ટ્રકશન દરમિયાન આરોપીઓને જોવા લોકોના ટોળા ઉમટ્યા, છરાના 8 ઘા મારી યુવકની હત્યા કરી હતી

સુરતના મોટા વરાછા વિસ્તારમાં બે દિવસ પહેલા મોટરસાયકલ ફૂલ સ્પીડે ચલાવવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં યુવકની હત્યા નિપજાવવામાં આવી હતી.હત્યા કેસમાં ઝડપાયેલા આરોપીઓને લઈ પોલીસ આજે રિકન્સ્ટ્રકશન માટે ઘટનાસ્થળે પહોંચતા લોકોના ટોળા એકઠા થયા હતા. લંગડાતા ચાલી રહેલા આરોપીઓની પોલીસે જાહેરમાં જ સરભરા કરી હતી. છરાના 8 ઘા મારી યુવકની હત્યા નિપજાવી હતીમળતી માહિતી મુજબ વરાછા, ધારૂકાવાલા કોલેજ પાસે ફૂટ માર્કેટમાં ફૂટપાથ પર રહેતા સુનિલ શર્મા (ઉ. વ.51, મુળ યુપી) મજૂરી કામ કરે છે. તેમનો 24 વર્ષીય પુત્ર સાહિલ ઉર્ફે સાહિલ ઘોદાના મિત્ર સુનીલ ઉર્ફે ડેન્જરની ઉત્તમ જેના સાથે મોટરસાયકલ ઝડપથી ચલાવવા બાબતે અગાઉ તકરાર થઈ હતી. આ ઝઘડાનું સમાધાન કરવા માટે ગત તા. 9મીની રોજ રાત્રે મોટાવરાછા, પનવેલ પોઈન્ટ પાસે બેઠક યોજાઈ હતી. ઉત્તમ, તેનો સાળો, ગણેશ, સાહિલ અને સુનિલ ડેન્જર આ મીટિંગમાં હાજર હતા. દરમિયાન સાહિલે અમે માફી કેમ માંગીએ? એમ કહેતા જ ઉશ્કેરાયેલા ગણેશ અને ઉત્તમે સાહિલ પર હુમલો કરી દીધો હતો. ઉત્તમ જેનાએ સાહિલને પકડી રાખ્યો હતો, જ્યારે તેના સાળા ગણેશ ઉર્ફે ગણીયા નાયકે પોતાની પાસેના છરા વડે સાહિલને છાતી, પીઠ, પડખા અને સાથળના ભાગે કુલ 8 જેટલા ઘા ઝીંકી તેને લોહીલુહાણ કરી નાખ્યો હતો, જેના કારણે તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઝડપાયેલા બંને આરોપીઓની જાહેરમાં સરભરાઉત્રાણ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં બે આરોપી ઉત્તમ ઉપેન્દ્રભાઈ જેના (ઉ. વ. 39. રહે નવી પાલ પાણીની ટાંકી પાસે, ચીકુવાડી, નાના વરાછા- મુળ ઓરિસ્સા) અને ગણેશ રમેશભાઈ નાયક (ઉ.વ.૨૮, રહે- નાનાવરાછા)ને ઝડપી પાડયા હતા. ઉત્તમ જેના અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે. પોલીસે બન્નેને કોર્ટેમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા છે. આજરોજ બંને આરોપીઓ ઉત્તમ જેના અને તેના સાળા ગણેશને ઘટના સ્થળે લઈ જઈને હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જાહેરમાં હત્યા કરી હોવાની આરોપીઓને કાયદાનો પાઠ પણ ભણાવવામાં આવ્યો હતો. લંગડાતા ચાલતા આવેલા બંને આરોપીઓને ઘટના સ્થળે લાવીને પણ સરભરા કરવામાં આવી હતી. આ સમાચાર પણ વાંચોઃત્રણ આરોપીઓને દોરડાથી બાંધી રિ-કન્સ્ટ્રક્શન કરાયું રાજકોટ શહેરના મોરબી રોડ પર બેડી ગામે નાસ્તાની લારી ચલાવતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી માર માર્યાની ઘટનામાં 21 દિવસ બાદ 3 આરોપીઓની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો પૈકી બે શખ્સો નાસ્તો કરવા ગયા ત્યારે ત્યાં ભીડ હોવાના કારણે થોડી વાર લાગશે કહેતા ઉશ્કેરાયેલા શખ્સોએ તેના ભાઈને બોલાવી યુવકને લોખંડના પાઇપ વડે માર મારી લારીમાં તોડફોડ કરી હતી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આજે પોલીસે આરોપીઓનું રિકંસ્ટ્રકશન કર્યું હતું.જેમાં દોરડા વડે બાંધી સ્થળ પર લઇ જતા સમયે આરોપીઓ લંગડાતા નજરે પડ્યા હતા. (સંપૂુર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 1:37 pm

ગોધરામાં માર્ગ સલામતી માસની અનોખી ઉજવણી:પોલીસ-RTOએ પતંગ વિતરણ કરી રાહવીર યોજના સમજાવી

ગોધરામાં માર્ગ સલામતી માસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ટ્રાફિક પોલીસ, સિટી ટ્રાફિક અને આરટીઓ વિભાગ દ્વારા વાહનચાલકોને પતંગોનું વિતરણ કરીને 'રાહવીર યોજના' વિશે જાગૃત કરાયા હતા. પંચમહાલ જિલ્લામાં માનવ જીવન બચાવવાના ઉમદા હેતુથી રાજ્ય સરકારની રાહવીર યોજના અને રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬ અંતર્ગત આ વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન થયું હતું. ગોધરા શહેરના પાંજરાપોળ ચર્ચ પાસે આ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં રાહદારીઓ અને વાહનચાલકોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અપીલ કરાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર કરુણાબેન ડાભી, ગોધરા સિટી ટ્રાફિક પી.એસ.આઇ. મયુરધ્વજસિંહ ચૌહાણ, ટ્રાફિક પી.એસ.આઇ. ડી.એન. પરમાર અને આરટીઓ અધિકારી પી. જે. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ જાતે માર્ગ પર ઉતરીને વાહનચાલકોને ટ્રાફિકના નિયમો સમજાવ્યા અને સુરક્ષિત ડ્રાઇવિંગ માટે પ્રોત્સાહિત કર્યા હતા. ઉત્તરાયણના પર્વ નિમિત્તે વહેંચાયેલી પતંગો પર માર્ગ સલામતીના સૂત્રો અને રાહવીર યોજનાની વિગતો દર્શાવવામાં આવી હતી. આ યોજના હેઠળ, માર્ગ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને 'ગોલ્ડન અવર'માં હોસ્પિટલ પહોંચાડી જીવ બચાવનાર મદદગારને સરકાર દ્વારા ₹૨૫,૦૦૦નું ઇનામ અને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવે છે. નાગરિકોને આ યોજના વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. પોલીસ વિભાગના આ નવતર પ્રયોગનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માતોમાં થતા મૃત્યુદરમાં ઘટાડો કરવાનો અને લોકોમાં સુરક્ષા પ્રત્યે જવાબદારીની ભાવના કેળવવાનો છે. પતંગોના માધ્યમથી અપાયેલા આ સંદેશને સ્થાનિક નાગરિકોએ પણ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 1:31 pm

‘ગ્રીન એનર્જી’ પાછળ થયેલો કરોડોનો ખર્ચ ધૂળમાં!:સુરતમાં EV ચાર્જિંગ સ્ટેશન ખંઢેર, ફાયરના સાધનો પણ ભંગાર; ચારેતરફ દારૂની બોટલો; મેયરને કંઈ જ ખબર નથી

મંત્રાલયો અને પાલિકાના કાગળ પર 'સ્માર્ટ' ગણાતું સુરત જમીન પર ગંદકી અને દારૂના અડ્ડા સમાન બની ગયું હોય તેવુ લાગી રહ્યું છે. સુરત શહેરને પ્રદૂષણ મુક્ત કરવા અને ગ્રીન એનર્જીને વેગ આપવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ઠેર-ઠેર ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા ઇ-વ્હીકલ ખરીદવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ભાસ્કર દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં જાણવા મળ્યું છે કે, ભટાર ચાર રસ્તા નજીક આવેલું સ્માર્ટ ઇવી ચાર્જિંગ સેન્ટર હાલ લોકો માટે સુવિધાને બદલે મોટી દુવિધા બની ગયું છે. તંત્રના મોટા દાવાઓ વચ્ચે આ સ્ટેશનની હાલત અત્યંત જર્જરિત અને દયનીય જોવા મળી રહી છે. મેન્ટેનન્સના અભાવે આખા સ્ટેશનમાં ચારેતરફ ઊંચા ઝાડી-ઝાંખરા અને ઘાસ ઊગી નીકળ્યું છે. જે જગ્યાને ચોખ્ખી અને સુરક્ષિત રાખવાની જવાબદારી સુરત મહાનગરપાલિકાની હતી, તે જગ્યા અત્યારે દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે. વાહન ચાર્જ કરવા આવતા નાગરિકો અહીંની આવી સ્થિતિ અને ગંદકી જોઈને સ્ટેશનમાં પ્રવેશતા પણ ખચકાઈ રહ્યા છે. ટેકનિકલ એરરથી કંટાળી વાહનચાલકો પરત જવા મજબૂરથોડાઘણા વાહનચાલકો આશા સાથે પોતાના વાહનો ચાર્જ કરવા ભટારના આ સ્માર્ટ સ્ટેશન પર પહોંચે છે, ત્યારે તેમને માત્ર નિરાશા જ સાંપડે છે. ચાર્જિંગ મશીનોમાં સતત ટેકનિકલ એરર આવી રહી છે, જેથી વાહન ચાર્જ થઈ શકતું નથી. ડિસ્પ્લે પર આવતી સતત એરર અને સોફ્ટવેરની ખામીને કારણે વાહનચાલકો કલાકો સુધી રાહ જોયા બાદ અંતે કંટાળીને પાછા ફરે છે. આધુનિક ટેકનોલોજીના નામે અહીં માત્ર લોલમલોલ ચાલી રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે. મશીનો કાર્યરત હોવા છતાં તેનો ઉપયોગ ન થઈ શકવો એ સુરત પાલિકાના મેન્ટેનન્સ વિભાગની ઘોર નિષ્ક્રિયતા અને બેદરકારીનું જીવંત ઉદાહરણ છે. સુરક્ષાના સાધનો જ જોખમી હાલતમાંઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનમાં શોર્ટ સર્કિટ કે આગ લાગવાનું જોખમ હંમેશા રહેતું હોય છે, જેના માટે ત્યાં ફાયર સેફ્ટીના સાધનો હોવા અનિવાર્ય છે. ભટાર ચાર્જિંગ સ્ટેશન પર ફાયરના સાધનો લગાડવામાં તો આવ્યા છે, પરંતુ તે માત્ર દેખાડા પૂરતા જ છે. આ સાધનો અત્યારે સાવ ભંગાર હાલતમાં છે અને તેની એક્સપાયરી ડેટ પણ વીતી ગઈ હોય તેવું જણાય છે. સાધનો પર ઝાડી-ઝાંખરા અને ધૂળ જામી ગઈ છે. જો અચાનક આગનો કોઈ બનાવ બને તો આ સાધનો કામ આપે તેવી સ્થિતિમાં જ નથી. ભટાર ચાર રસ્તા પાસેના સ્માર્ટ ઇવી ચાર્જિંગ સ્ટેશન પર સુરક્ષાના નિયમોના સરેઆમ લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે. તંત્રની જગ્યા પર દબાણો અને કોમર્શિયલ પ્રવૃત્તિઓસૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, જ્યાં હાઈ-વોલ્ટેજ વીજ કરંટ સાથે વાહનો ચાર્જ કરવાના મશીનો લાગેલા છે, તેની બિલકુલ અડીને જ પતરાના કામચલાઉ (ટેમ્પરરી) સ્ટ્રક્ચર ઊભા કરી દેવામાં આવ્યા છે. અહીં ગેરકાયદેસર રીતે ખાણીપીણીની દુકાનો ધમધમી રહી છે, જ્યાં ગેસ સિલિન્ડર અને ખુલ્લી આગનો ઉપયોગ થતો હોય છે. એક તરફ ઇવી ચાર્જિંગમાં શોર્ટ સર્કિટનું જોખમ રહેલું હોય છે, ત્યારે તેની બાજુમાં જ ચાલતી આ ખાણીપીણીની લારી-ગલ્લાઓ મોટી હોનારતને આમંત્રણ આપી રહ્યા છે. પાલિકાની મિલકત પર આ રીતે ગેરકાયદે દબાણો થઈ રહ્યા હોવા છતાં જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. સ્ટેશનના પરિસરમાં લોકોએ પોતાના કપડાં સુકવવા માટે પણ દોરડા બાંધી દીધા છે, જાણે આ કોઈ જાહેર સુવિધાનું કેન્દ્ર નહીં પણ કોઈનું ખાનગી આંગણું હોય! જાહેર મિલકતનો આવો દુરુપયોગ એ પાલિકાના વહીવટી તંત્રની નિષ્ફળતા સાબિત કરે છે. પર્યાવરણના નામે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા ધૂળમાંએક તરફ પર્યાવરણ બચાવવા માટે કરોડોની ગ્રાન્ટ વાપરીને આ પ્રોજેક્ટ્સ ઊભા કરાયા છે અને બીજી તરફ તેની જાળવણીમાં આવો શૂન્યાવકાશ છે. જનતાના પરસેવાની કમાણીમાંથી ચૂકવાયેલા ટેક્સના કરોડો રૂપિયા આ રીતે ધૂળ ખાઈ રહ્યા છે. માત્ર સ્ટેશનો બનાવી દેવાથી કામ પૂરું નથી થતું, તેનું નિયમિત મેન્ટેનન્સ અને સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. પરંતુ અહીં તો 'રામ રાખે તેને કોણ ચાખે' જેવી સ્થિતિ સર્જાઈ છે. સવાલ એ ઊભો થાય છે કે જો આ સ્ટેશન પર કોઈ દુર્ઘટના ઘટે અથવા આગ લાગે, તો તેની જવાબદારી કોની રહેશે? સુરતનું ગ્રીન સિટીનું સપનું સાકાર થશે?ભાસ્કરના આ રિયાલિટી ચેકનો હેતુ પાલિકાના ઊંઘતા વહીવટી તંત્રને જગાડવાનો છે. અડાજણ, સિંગણપોર અને વરાછા જેવા વિસ્તારોમાં પણ જો આવી જ સ્થિતિ રહી, તો સુરતનું ગ્રીન સિટીનું સપનું ક્યારેય સાકાર નહીં થાય. ભટારનું ચાર્જિંગ સ્ટેશન અત્યારે પાયાની સુવિધાઓ માટે ટળવળી રહ્યું છે. તાત્કાલિક ધોરણે અહીંથી દબાણો હટાવવા, અસામાજિક તત્વોને દૂર કરવા અને મશીનરી રિપેર કરવી અત્યંત જરૂરી છે. જો વહેલી તકે પગલાં લેવામાં નહીં આવે, તો આ સ્ટેશન માત્ર એક ભંગારનો ટુકડો બનીને રહી જશે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 1:30 pm

પાટણના અંબાજી નેળિયામાં નગરપાલિકાએ દબાણો હટાવ્યા:15 લાખના ખર્ચે સારથી નગરથી નિર્મળ નગર સુધી નવો રોડ બનશે

પાટણ નગરપાલિકાએ અંબાજી નેળિયા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ, ₹15 લાખના ખર્ચે નવીન રોડ બનાવવાનું આયોજન કરાયું છે, જેનાથી સ્થાનિકોને અવરજવરમાં સુવિધા મળશે. નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે આ કામગીરી અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, નિયમિત સફાઈ દરમિયાન રસ્તા અને પાણીના વહેણમાં અવરોધરૂપ કાચા-પાકા દબાણો જોવા મળ્યા હતા. નગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરીને 3 કાચા-પાકા છાપરા, 1 શેડ અને 1 મોટું જાહેરાતનું હોર્ડિંગ બોર્ડ દૂર કર્યું છે. આ ઉપરાંત, પાણીના નિકાલમાં અવરોધરૂપ દિવાલો પણ તોડી પાડી રસ્તો ખુલ્લો કરાયો છે. દબાણ હટાવવાની કામગીરી સાથે જ વિસ્તારમાં માળખાગત સુવિધા વધારવા પર ભાર મુકાયો છે. અંબાજી નેળિયામાં સારથી નગરથી નિર્મળ નગર સુધી કેનાલની સમકક્ષ ₹15 લાખના ખર્ચે નવો રોડ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. આ નવા રસ્તાથી વિસ્તારનો વિકાસ થશે અને વાહનચાલકો તેમજ રાહદારીઓને વધુ સુવિધા મળશે. નગરપાલિકા પાટણ સ્વચ્છતા અને શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા પ્રતિબદ્ધ છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 1:28 pm

ઘોઘંબામાં LCBનો દરોડો, દારૂનું નેટવર્ક ઝડપાયું:વિદેશી દારૂ અને વાહનો સહિત રૂ. 69 લાખનો મુદ્દામાલ જપ્ત

પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ઘોઘંબા તાલુકાના પાંચપથરા ગામની સીમમાં દરોડો પાડી વિદેશી દારૂનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. પોલીસે ખેતરમાંથી રૂ. 69.30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની આ કાર્યવાહી પાંચપથરા ગામની સીમમાં આવેલા એક ખુલ્લા ખેતરમાં કરવામાં આવી હતી. દરોડા દરમિયાન મુખ્ય આરોપી દિલીપસિંહ ઉર્ફે ગનુ બળવંતસિંહ પરમાર અને અન્ય બે શખ્સો અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ 19,144 બોટલ/ટીન વિદેશી દારૂ અને બીયર, એક આઈસર ટ્રક (MP-09-GF-9969), એક બોલેરો પીકઅપ (GJ-16-AV-2952) અને ભુસાની બેગ સહિત કુલ રૂ. 69,30,552/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. જપ્ત કરાયેલા દારૂ અને બીયરની કિંમત રૂ. 56,21,552/- અંદાજવામાં આવી છે, જ્યારે ટ્રકની કિંમત રૂ. 10 લાખ અને બોલેરો પીકઅપની કિંમત રૂ. 3 લાખ છે. આ મામલે રાજગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં LCBના PSI એસ.આર. શર્મા અને તેમની ટીમ જોડાઈ હતી.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 1:26 pm

હિમાલયા સ્કાય ફ્લેટમાંથી રોકડ-સોનાના દાગીનાની ચોરી:ઘરકામ કરતી મહિલાએ રૂ.4.80 લાખની ચોરી કરી હોવાની પોલિસ ફરિયાદ, હિમાલયા મોલ નજીકના ફ્લેટ નજીકના ફ્લેટની ઘટના

ભાવનગર શહેરના હિમાલયા મોલ નજીક આવેલા હિમાલયા સ્કાય ફ્લેટમાં ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે. ઘરકામ માટે રાખવામાં આવેલી મહિલાએ જ ઘરમાંથી રોકડ રૂપિયા અને કિંમતી સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘરમાંથી રોકડ રકમ અને સોનાના ઘરેણાં મળી કુલ રૂ. 4 લાખ 80 હજારની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં આરોપી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. ઘરકામ કરવા આવતા બહને ચોરી કરી હોવાની આશંકાભાવનગર શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ઘરફોડ ચોરીનો બનાવ સામે આવ્યો છે. નિલમબાગ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, હિમાલયા મોલની બાજુમાં આવેલા હિમાલયા સ્કાય ફ્લેટમાં રહેતા ફરિયાદી હાર્દિકભાઈ મહેશચંદ્રભાઈ કારેલીયાના ઘરે ઘરકામ માટે રાખવામાં આવેલી છાયાબેન સોલંકી પર ચોરીની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ફરિયાદી અનુસાર તેમની પત્નીના બન્ને પગમાં ઓપરેશન થયેલું હોવાથી ઘરકામ માટે છાયાબેનને રાખવામાં આવ્યા હતા. ઘરકામ શરૂ થયા બાદ ઘરેથી રોકડા રૂપિયા ઓછા થતા હોવાની શંકા ઊભી થઈ હતી. રોકડ અને સોનાના ઘરેણાં મળી કુલ 4 લાખ 80 હજારની ચોરીતા.10 ડિસેમ્બરથી આજદિન સુધીમાં ઘરમાંથી રોકડા રૂ. 2,60,000 તેમજ સોનાના દાગીના ગુમ થતાં હોવાની ફરિયાદ નોંધાઈ છે. તપાસ દરમિયાન ફરિયાદીના દીકરાએ કબાટમાં રાખેલા રૂ.5,000 પણ છાયાબેન ઘરેથી ગયા બાદ ગાયબ મળતા શંકા વધુ મજબૂત બની હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ અલગ અલગ સમયમાં ઘરમાંથી કુલ રૂ. 4,80,000ની ચોરી કરવામાં આવી છે. જેમાં રોકડા રૂપિયા ઉપરાંત સોનાના દાગીનામાં અંદાજે એક નેકલેસ જેનું વજન આશરે 30 ગ્રામ જેની કિ.રૂ.70,000, એક જલેબી ડિઝાઈનનો ચેઇન વજન આશરે 28 ગ્રામ જેની કિં.રૂ. 65,000, એક ડિસ્કો ચેઇન જેનું વજન આશરે 17 ગ્રામ જેની કિં.રૂ.45,000 રોડીયમનો ચેઇન સાથે હિરાનું પેન્ડલ જેનુ વજન આશરે 14 ગ્રામ જેની કિં.રૂ.40,000નું સામેલ છે. સમગ્ર મામલે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદઆ તમામ દાગીના જુના હોવાના કારણે તેના બિલ ઉપલબ્ધ નથી તેમ ફરિયાદીએ જણાવ્યું હતું. સમગ્ર મામલે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપી છાયાબેન સોલંકી વિરુદ્ધ તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 1:16 pm

પાઇપલાઇનમાં ભંગાણ થતાં 35 ફૂટ ઉંચા પાણીના ફુવારા ઉડ્યા:અમરેલીના વાંકિયા નજીક હજારો લીટર પાણીનો વેડફાટ, પુરવઠા વિભાગે રિપેરિંગ કામ હાથ ધર્યું

અમરેલી જિલ્લાના ખાંભાથી સાવરકુંડલા રોડ પર આવેલા વાંકિયા ગામ નજીક નર્મદા પાણી પુરવઠાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. આ ઘટનાને કારણે હજારો લિટર પીવાના પાણીનો બિનજરૂરી વેડફાટ થયો હતો. પૂર્વ સરપંચ પીઠાભાઈ દાફડાના ઘર નજીકથી પસાર થતી આ પાઇપલાઇનમાં ભંગાણ થતાં ભારે દબાણ સાથે પાણી બહાર આવ્યું હતું. પાણીના ફુવારા 30થી 35 ફૂટ જેટલા ઊંચા ઉડતા જોવા મળ્યા હતા. પાણીના ફુવારાને કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હતું. રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. ગ્રામજનોએ વહેલી તકે લાઈનમાં ભંગાણની મરામત કરવાની માંગ કરી હતી, જેથી પાણીનો વધુ વેડફાટ અટકાવી શકાય અને પાણી પુરવઠા વ્યવસ્થા પુનઃસ્થાપિત થઈ શકે. પાણી પુરવઠા વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ અને રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. પાઇપલાઇનમાં ભંગાણ થવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને આ મામલે તપાસ ચાલી રહી છે. સ્થાનિક લોકોએ પાણી પુરવઠા વિભાગની કામગીરી સામે સવાલો પણ ઉઠાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 1:10 pm

ગેસના બાટલામાં ચોરખાના બનાવી દારૂની હેરાફેરી:માંડવી પોલીસે 7.22 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપ્યા

માંડવી પોલીસે ગેસના બાટલાઓમાં ચોરખાના બનાવી દારૂની હેરાફેરી કરતા એક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સેલવાસ અને વલસાડના બે શખ્સોને 7.22 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. માંડવી પી.આઈ. સી.બી. ચૌહાણની સૂચના મુજબ, પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ ભાવિનભાઈ રમણભાઈને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, સેલવાસથી એક મહિન્દ્રા સુપ્રો ગાડી (નંબર GJ 19 X 7626) ગેસના ખાલી બાટલાઓમાં દારૂ ભરી માંડવીથી પસાર થવાની હતી. આ બાતમીના આધારે, પોલીસે સ્ટેટ હાઈવે નંબર-56 પર આશીર્વાદ વિલા રેસીડેન્સી પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ગાડી આવતા તેને અટકાવી તપાસ કરતા, તેમાં 28 કોમર્શિયલ ગેસના બાટલાઓ મળી આવ્યા હતા. આ બાટલાઓમાં ખાસ રીતે ચોરખાના બનાવવામાં આવ્યા હતા. આ ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 2109 બોટલ મળી આવી હતી, જેની કિંમત 4,82,775 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે મેહુલ જેરામભાઈ ઢોડિયા પટેલ (રહે. સેલવાસ) અને જીગ્નેશ ઈશ્વરભાઈ પટેલ (રહે. વલસાડ) નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ કબૂલ્યું હતું કે પોલીસથી બચવા માટે ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાવી હતી. પોલીસે આ ગુનામાં દારૂનો જથ્થો મોકલનાર સંતોષ (સેલવાસ) અને મંગાવનાર સમીર તંબોલી (ઝંખવાવ) ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 2109 બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 4.82 લાખ), મહિન્દ્રા સુપ્રો ટ્રક (કિંમત રૂ. 2 લાખ), 28 ગેસના બાટલા, મોબાઈલ ફોન અને રોકડનો સમાવેશ થાય છે. કુલ 7,22,565 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 12:43 pm

અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર્સના જીવ તાળવે ચોંટ્યા:મુંબઈથી અમદાવાદ આવતી અક્સાની ફ્લાઇટનું બેવાર લેન્ડિગ ફેઇલ, મુસાફરે ભાસ્કરને જણાવી વ્યથા

મુંબઈથી અમદાવાદ આવી રહેલી ફ્લાઇટ પેસેન્જર્સના આજે જીવ તાળવે ચોંટી ગયા હતા. અક્સા એરની ફ્લાઇટ નં.QP 1781 અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થવા પ્રયાસો કર્યા પરંતુ લેન્ડ થઈ શકી નહોતી. ખૂબ પ્રયાસો કરવા છતાં આ ફ્લાઇટ(Boeing 737 Max 8) બેવાર ઉપર આવી ગઈ હતી. અંતે ફ્લાઇટને જયપુર એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. 13 જાન્યુઆરી, 2026ના રોજ 8.40 વાગ્યે મુંબઈથી ટેકઓફ થઈ હતી. ત્યાર બાદ અમદાવાદ એરપોર્ટ 10 વાગ્યે લેન્ડિગ ટાઇમ હતો. પરંતુ આ સમયે જ કોઈ સમસ્યા ઉભી થતાં ફ્લાઇટ લેન્ડ કરવામાં મુશ્કેલીઓ આવી હતી. લોકોમાં ભયનો માહોલ હતો: મુસાફરઆ ફ્લાઇટના એક મુસાફરે જણાવ્યું કે, આ ફ્લાઇટ 10 વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવાની હતી. પરંતુ બે વખત લેન્ડ કરવામાં આવી પરંતુ બન્ને વાર ફ્લાઇટ ઉપર આવી ગઈ હતી. જેથી લોકોમાં ભયનો માહોલ હતો. તમામ પેસેન્જર્સ પરેશાન થઈ ગયા હતા. ત્યાર બાદ આ ફ્લાઇટને જયપુર એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 12:36 pm

પતંગ ઉડાડતા ઇજા પહોંચે તો ધ્યાનમાં રાખજો:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધારાનો ડૉક્ટર્સ સહિત સ્ટાફ ખડેપગે રહેશે, સામાન્યથી લઈને ગંભીર ઈજાઓ માટે જરૂરી દવાઓ સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ

આવતીકાલે મકરસંક્રાંતિનો તહેવાર છે. જેમાં આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ જાય છે. પણ બીજી તરફ પતંગના આ ઉત્સવમાં અનેક દુર્ઘટનાઓ પણ સામે આવતી હોય છે અને ખાસ કરીને ઇમરજન્સી કેસોમાં વધારો થતો હોય છે. ત્યારે ઉતરાયણના તહેવારમાં અકસ્માતના વધતા બનાવોને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ દ્વારા આગોતરું આયોજન કરાયું છે. જેમાં આગામી 36 કલાક માટે હોસ્પિટલમાં વધારાનો ડૉક્ટર્સ સહિત સ્ટાફ ખડેપગે રાખવામાં આવ્યો છે. સાથે સાથે સામાન્યથી લઈને ગંભીર ઈજાઓ માટે જરૂરી દવાઓ સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલનાં મીડિયા કો-ઓર્ડીનેટર ડો. કમલ ડોડીયાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, અધિક્ષક ડો.મોનાલી માંકડિયાના નિરીક્ષણ હેઠળ મકરસંક્રાંતિનાં તહેવારને ધ્યાનમાં રાખીને વધારાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે વધારાનો સ્ટાફ અને બે ઓપરેશન થીયેટર તેમજ 2 ઈ.એન.ટી તીબીબ ઉપરાંત 2 સર્જન અને 2 મેડીકલ ઓફિસર ઉપરાંત 2 ઓર્થોપેડિક તબીબ ફરજ ઉપર તૈનાત રહેશે. મકરસંક્રાતિના તહેવારમાં પતંગની દોરોથી ગળામાં ઇજા થવાના અને ધાબા ઉપરથી પડવાના કેસો વધુ નોંધાતા હોય છે. દર વર્ષે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 14 જાન્યુઆરીના દિવસે 50 થી 60 જેટલા કેસો નોંધાતા હોય છે. આવા કેસોમાં ઘણીવખત વધારો જોવા મળે છે એક સાથે વધુ કેસ આવતા હોસ્પિટલમાં અફરાતફરી સર્જાય છે. જેને લઈ આ વખતે અત્યારથી ઉત્તરાયણમાં પતંગના દોરાથી, પડી જવાથી કે વીજ શોક લાગવાથી થતી ઇજાઓમાં તુરંત સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, મકરસંક્રાંતિનાં દિવસે દોરાથી ગંભીર ઇજા થવી, અગાસી કે ધાબા પરથી પડી જતા ઇજા તેમજ અમુક કિસ્સાઓમાં વિજશોક લાગવાથી ઇજા થવાના વિવિધ બનાવો સામે આવતા હોય છે. જેને પહોંચી વળવા માટે ખાસ બે ઓપરેશન થીયેટર અને ઈમરજન્સી સારવાર માટે વધારનનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ ઇમરજન્સી વિભાગમાં નાના-મોટા સ્ટીચીસ વગેરે લઈ શકાય તે માટેનું મીની ઓપરેશન અને મેડિકલ ઓફિસર સહિતની ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલનાં વધારાના ડૉક્ટર્સ તેમજ નર્સિંગ સ્ટાફને જવાબદારી સોપાઈ છે. ઉતરાયણ પર સામાન્ય કરતા ઈમરજન્સીના કેસ વધુ આવે છે. જેને લઈને ખાસ વધારાના બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં 2 ઈ.એન.ટી તીબીબ ઉપરાંત 2 સર્જન અને 2 મેડીકલ ઓફિસર ઉપરાંત 2 ઓર્થોપેડિક તબીબ ફરજ ઉપર તૈનાત રહેશે. ઉપરાંત તમામ જરૂરી દવાઓ અને ઇન્જેક્શનો પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તેમજ આ પ્રકારની ઇજાઓમાં બધી સારવાર એક જ સ્થળે મળી જાય તે માટેનું આયોજન કરાયું છે. ત્યારે કોઈપણ નાગરિકને ઇજા પહોંચે તો તરત જ સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવાની અપીલ પણ તેમણે કરી છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 12:29 pm

કડકડતી ઠંડીમાં ગરમ ધાબળાની હૂંફ:ગોધરામાં રાષ્ટ્ર સેવિકા સમિતિએ કડકડતી ઠંડી વચ્ચે 250થી વધુ ધાબળાનું વિતરણ કર્યું

રાષ્ટ્ર સેવિકા સમિતિ, પંચમહાલ દ્વારા ગોધરા શહેર અને આસપાસના વિસ્તારોમાં ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ દાતાઓના સહયોગથી 250થી વધુ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ધાબળા ગોધરા નગરની ફૂટપાથ પર ઠંડીમાં ઠુંઠવાતા ભિક્ષુકો તેમજ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગરીબ દર્દીઓને આપવામાં આવ્યા હતા. આ સેવાકાર્યમાં જિલ્લા કાર્યવાહિકા શિવાંગી પાઠક સહિત સમિતિની અન્ય બહેનો જોડાઈ હતી. રાષ્ટ્ર સેવિકા સમિતિ દર વર્ષે સમાજ અને રાષ્ટ્રના હિતમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. આ ધાબળા વિતરણ તે જ પરંપરાનો એક ભાગ છે, જેનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ લોકોને ઠંડી સામે રક્ષણ પૂરું પાડવાનો છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 12:26 pm

ભરૂચમાં ગેરકાયદેસર હથિયાર સાથે સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો:સેવાશ્રમ રોડ પરથી સિંગલ બેરલ બંદુક અને 6 કારતુસ સાથે પોલીસે ઝડપી લીધો

ભરૂચમાં ગેરકાયદેસર હથિયાર સામે એસ.ઓ.જી. ભરૂચે કડક કાર્યવાહી કરી છે. સેવાશ્રમ રોડ પરથી એક હથિયારી સિક્યુરિટી ગાર્ડને સિંગલ બેરલ બંદુક અને ૬ જીવતા કારતુસ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પીઆઈ એ.વી.પાણમીયા અને પીઆઈ એ.એચ.છૈયાની આગેવાની હેઠળની ટીમને અ.હે.કો. કિર્તીકુમાર ભાર્ગવ દ્વારા બાતમી મળી હતી. આ બાતમીના આધારે હોસ્ટેલ ગ્રાઉન્ડના ગેટ પાસે કાર્યવાહી કરવામાં આવી હતી. પકડાયેલ આરોપીની ઓળખ ક્રુષ્ણકુમાર વિશ્રામ યાદવ (મૂળ ઉન્નાવ, ઉત્તર પ્રદેશ) તરીકે થઈ છે. તેની પાસે ઉત્તર પ્રદેશનો હથિયાર પરવાનો હતો, પરંતુ ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતી વખતે સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી અને પોલીસમાં જરૂરી નોંધણી કરાવવામાં આવી ન હતી. આરોપી છેલ્લા બે માસથી ભરૂચમાં એક જ્વેલર્સ ખાતે હથિયારી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. ગેરકાયદેસર રીતે હથિયાર સાથે ફરજ બજાવવા બદલ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ 1959ની કલમ 20 અને 30 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 12:24 pm

​માંગરોળ નગરપાલિકામાં ભાજપના શાસન પર સંકટના વાદળો:કોંગ્રેસનો વહીવટી નિષ્ફળતા અને આર્થિક અવદશાના મુદ્દે અવિશ્વાસનો પ્રસ્તાવ; 8 નારાજ સભ્યોથી 20 વર્ષે આવેલી સત્તા જોખમમાં

જૂનાગઢની માંગરોળ નગરપાલિકામાં 20 વર્ષ બાદ સત્તામાં આવેલી ભાજપની પેનલ સામે રાજકીય ભૂકંપ સર્જાયો છે. વહીવટી અણઆવડત, નગરપાલિકાનું ફર્નિચર જપ્ત થવાની શરમજનક સ્થિતિ અને આર્થિક તંત્ર ખાડે જતાં કોંગ્રેસે પ્રમુખ ક્રિષ્નાબેન થાપણીયા અને ઉપપ્રમુખ સૈયદ અબ્દુલ્લાહમીયા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. ભાજપના જ 8 સભ્યોની નારાજગી વચ્ચે કોંગ્રેસની આ ચાલથી માંગરોળના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. જોકે, ઉપપ્રમુખે આ બાબતને વિરોધ પક્ષનો પ્રોપેગંડા ગણાવી આક્ષેપોને નકારી કાઢ્યા છે. નારાજ 8 સભ્યોએ બળવો કરતા કોંગ્રેસને મેદાન મારવાની તક મળી​માંગરોળ નગરપાલિકામાં લાંબા સમય બાદ ભાજપના ભગવાએ જીત મેળવી હતી, પરંતુ આ જીતનો આનંદ એક વર્ષમાં જ ઓસરી રહ્યો હોય તેવું જણાય છે. નગરપાલિકાના કુલ 36 સભ્યોના સંખ્યાબળમાં ભાજપ અને કોંગ્રેસ બંને પાસે 15-15 સભ્યો છે, જ્યારે બસપાના 4, આપનો 1 અને 1 અપક્ષ સભ્ય છે. અત્યાર સુધી ભાજપ અને બસપાના ગઠબંધનથી સત્તા ચાલી રહી હતી, પરંતુ આંતરિક વિખવાદ અને શાસકોની કામગીરીથી નારાજ 8 સભ્યોએ બળવો કરતા કોંગ્રેસને મેદાન મારવાની તક મળી છે. ​અવિશ્વાસના પ્રસ્તાવ પાછળના મુખ્ય કારણો​કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને પાઠવવામાં આવેલા પત્રમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છ. જેમાં પાલિકાના મુખ્ય નિર્ણયો ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે બિનઅધિકૃત લોકો દ્વારા લેવામાં આવતા હોવાનો આક્ષેપ છે. વહીવટી અણઆવડતના કારણે પાલિકાની તિજોરી ખાલી થઈ ગઈ છે અને આર્થિક તંત્ર સંપૂર્ણપણે ડામાડોળ બની ગયું છે. તાજેતરમાં કોર્ટ દ્વારા પાલિકાની મિલકતો જેવી કે ફર્નિચર, પંખા, ટેબલ અને કોમ્પ્યુટર જપ્ત કરવાની ફરજ પડી હતી, જે પાલિકાની આબરૂ માટે મોટો ફટકો સાબિત થયો છે.પીવાનું પાણી, સ્ટ્રીટ લાઈટ અને સફાઈ જેવી પાયાની જરૂરિયાતો પૂરી પાડવામાં સત્તાધીશો નિષ્ફળ રહ્યા છે, જેના કારણે શહેરમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. 8 સભ્યોની નારાજગીથી ભાજપ 20 વર્ષ બાદ મળેલી સત્તા ગુમાવાની આરે ​માંગરોળ પાલિકામાં સત્તાનું સંતુલન અત્યંત નાજુક છે. ભાજપ પાસે 15 સભ્યો હોવા છતાં 8 સભ્યોની નારાજગી તેને લઘુમતીમાં લાવી શકે છે. જો કોંગ્રેસ 15 સભ્યોને આ નારાજ સભ્યોનો ટેકો મળે, તો 20 વર્ષ બાદ મળેલી સત્તા ભાજપ ગુમાવી શકે છે. હાલમાં ભાજપ અને બસપાના ગઠબંધનથી પ્રમુખ તરીકે ક્રિષ્નાબેન અને ઉપપ્રમુખ તરીકે સૈયદ અબ્દુલ્લાહમીયા કાર્યરત છે. 'અમારી પાસે કોઈ સત્તાવાર અવિશ્વાસનો કાગળ આવ્યો નથી'​બીજી તરફ ઉપપ્રમુખ સૈયદ અબ્દુલ્લાહમીયાએ આ તમામ બાબતોને ફગાવી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે અમે બહુજન સમાજ પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયા છીએ અને ભાજપના ટેકાથી વિકાસના કામો કરી રહ્યા છીએ. ભૂગર્ભ ગટર, પાણી અને સફાઈ માટે અમે કટિબદ્ધ છીએ. ​તેમણે વધુમાં ઉમેર્યું કે નારાજગીની વાત માત્ર સોશિયલ મીડિયા અને અફવાઓ પૂરતી મર્યાદિત છે. અમારી પાસે કોઈ સત્તાવાર અવિશ્વાસનો કાગળ આવ્યો નથી. ભ્રષ્ટાચારના આક્ષેપો પાયાવિહોણા છે અને જો કોઈ ફરિયાદ હોય તો તેની તપાસ થવી જોઈએ. આ માત્ર સત્તા હડપવા માટેનો રાજકીય પ્રોપેગેંડા છે. ​હાલ તો માંગરોળનું રાજકારણ 'વેઈટ એન્ડ વોચ'ની સ્થિતિમાં છે. કોંગ્રેસની આ દરખાસ્ત બાદ હવે ચીફ ઓફિસર અને કલેક્ટર દ્વારા આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો મતદાનની નોબત આવશે, તો ભાજપ પોતાના નારાજ સભ્યોને મનાવવામાં સફળ રહે છે કે કોંગ્રેસ સત્તા પલટો કરવામાં સફળ થાય છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 12:24 pm

દેહદાન કરાયેલા 14 મૃતદેહોના અગ્નિસંસ્કાર:જામનગરના આદર્શ સ્મશાનમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે અંતિમ સંસ્કાર કરાયા

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજના એનોટોમી વિભાગને દેહદાન સ્વરૂપે મળેલા 14 માનવ મૃતદેહોના આજે આદર્શ સ્મશાન ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. આ મૃતદેહોનો તબીબી અભ્યાસ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આર્ય સમાજ સંસ્થા દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે અંતિમવિધિ સંપન્ન થઈ હતી. જી.જી. હોસ્પિટલનો એનોટોમી વિભાગ પણ આ અગ્નિસંસ્કાર વિધિમાં જોડાયો હતો. આ પ્રસંગે એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઈ, એનોટોમી વિભાગના વડા ડો. દિલીપ ગોહિલ, પ્રોફેસર ડો. મિતલ પટેલ સહિત અનેક તબીબો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તબીબોમાં કાર્તિક સ્વાદિયા, મીના પટેલ, ધરતી કુબાવત, કૌશલ ઝવેરી, જતીન ચુડાસમા, જીગ્નેશ વડગામા, બાલકૃષ્ણ કુમાર, નારૂ દામોર, વિજય કણજારીયા, અંકિત અધ્વર્યુ, મોનિકા અધ્વર્યુ અને ધવલ તલસાણીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આર્ય સમાજના મંત્રી ધવલભાઈ બરછા, પુસ્તકાધ્યક્ષ જગદીશભાઈ મકવાણા, આદર્શ સ્મશાનના મંત્રી દર્શન ઠક્કર અને ખજાનચી અમર ગોંદિયા સહિતના અગ્રણીઓ પણ આ અગ્નિસંસ્કાર વિધિમાં હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 12:15 pm

'જૂના સિક્કાના 45 લાખ મળશે' કહી છેતરપિંડીનો ખેલ:ચાલુ ફોને સાયબર ક્રાઈમ પહોંચ્યા ફરિયાદી; PI એ વાત કરતાં ગઠિયાની બોલતી બંધ, સાયબર ક્રાઈમથી બચવા આટલું કરો

આજકાલ સાયબર માફિયાઓ લોકોને લલચાવવા માટે અવનવા નુસખા અપનાવી રહ્યા છે. નવસારીના વિજલપોર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધને જૂના સિક્કા અને નોટોના બદલામાં રૂ. 45 લાખ અપાવવાની લાલચ આપી છેતરવાનો પ્રયાસ થયો હતો. જોકે, વૃદ્ધની સમયસૂચકતા અને સાયબર ક્રાઈમ પોલીસની સક્રિયતાને કારણે લાખોની છેતરપિંડી થતા અટકી હતી. શું હતી સમગ્ર ઘટના?વિજલપોરના રહેવાસી દાદાભાઈ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહ્યા હતા ત્યારે તેમની સામે જૂના સિક્કા અને નોટો ખરીદવાની એક જાહેરાત આવી. જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો હતો કે જૂની નોટો અને સિક્કાના બદલામાં લાખો રૂપિયા મળી શકે છે. લાલચમાં આવીને દાદાભાઈએ આપેલા નંબર પર સંપર્ક કર્યો. સામે પક્ષે રહેલા ગઠિયાએ વિશ્વાસ જીતવા માટે સિક્કાના ફોટા મંગાવ્યા અને ત્યારબાદ જણાવ્યું કે આ સિક્કાના બદલામાં તેમને રૂ. 45 લાખ મળશે. ₹700ના રજિસ્ટ્રેશનથી શરૂ થયેલી જાળશરૂઆતમાં ગઠિયાએ ફાઈલ બનાવવાના બહાને 700 રૂપિયા રજિસ્ટ્રેશન ચાર્જ માંગ્યો, જે દાદાભાઈએ ભરી દીધા. ત્યારબાદ બીજા દિવસે ગઠિયાએ નવો દાવ ખેલ્યો અને જણાવ્યું કે, અમારી ટીમ 45 લાખ રૂપિયા લઈને તમારા ઘરની નજીક પહોંચી ગઈ છે, પણ તમારે GST પેટે 5,000 રૂપિયા ઓનલાઇન જમા કરાવવા પડશે. જ્યારે દાદાભાઈએ પૈસા ભરવાની ના પાડી, ત્યારે ગઠિયાઓએ અસલી સ્વરૂપ બતાવ્યું. તેમણે દાદાભાઈને ધમકાવવાનું શરૂ કર્યું કે જો પૈસા નહીં ભરો તો તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ બ્લોક થઈ જશે, પોલીસ તમારા ઘરે આવશે અને તમારે 50,000નો દંડ ભરવો પડશે. ચાલુ ફોને પોલીસ મથકે પહોંચ્યા અને PI ને 'મિત્ર' ગણાવ્યાગઠિયાઓની ધમકીથી ગભરાવાને બદલે દાદાભાઈએ હિંમત બતાવી. તેઓ તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યાં તેમણે PI ઉમંગ મોદીને સમગ્ર વાત કરી. મજાની વાત એ છે કે, દાદાભાઈએ ગઠિયા સાથે ફોન ચાલુ રાખ્યો હતો અને PI મોદીને પોતાના 'મિત્ર' તરીકે ઓળખાવી ગઠિયા સાથે વાત કરાવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરે જ્યારે પોતાની રીતે વાતચીત કરી ત્યારે ગઠિયાઓ હજુ પણ 45 લાખની લાલચ આપી 5,000 પડાવવાની ફિરાકમાં હતા. જોકે, સામે પોલીસ હોવાની જાણ થતા જ ગઠિયાઓના પ્લાન પર પાણી ફરી વળ્યું હતું. લોકોએ સોશિયલ મીડિયા પર જૂના સિક્કા કે નોટોના બદલામાં મોટી રકમ મળવાની લાલચમાં આવવું નહીં. આ એક નવી પ્રકારની મોડસ ઓપરેન્ડી (MO) છે. જો તમારી સાથે આવું થાય, તો તાત્કાલિક 1930 પર કોલ કરો અથવા નજીકના સાયબર ક્રાઈમ સ્ટેશનનો સંપર્ક કરો. ઉમંગ મોદી, PI, સાયબર ક્રાઈમ સેલ, નવસારી સાયબર ક્રાઈમથી બચવા માટેની સાવચેતી:

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 12:09 pm

વડોદરા જેલમાંથી ફરાર ગુજસીટોક આરોપી ઝડપાયો:બોટાદ પેરોલ-ફર્લો સ્કૉડે જામનગરથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને ઝડપ્યો

ગુજસીટોકના ગુનામાં વડોદરા મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર ફરાર થયેલા આરોપી અફજલભાઈ હુસેનભાઈ ખલ્યાણીને જામનગરથી ઝડપી લેવામાં આવ્યો છે. બોટાદ પેરોલ-ફર્લો સ્કૉડે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આ કાર્યવાહી કરી હતી. ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ, આરોપી અફજલ ખલ્યાણીને 7 દિવસના વચગાળાના જામીન મળ્યા હતા. જોકે, જામીનની મુદત પૂરી થયા બાદ તે નિયત તારીખે જેલમાં પરત હાજર થયો ન હતો અને ફરાર થઈ ગયો હતો. આરોપીઓને ઝડપી પાડવા માટે ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારની સૂચનાથી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. બોટાદ અને પેરોલ-ફર્લો સ્કૉડે આ મામલે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા મળેલી માહિતીના આધારે આરોપી જામનગરના દરેડ GIDC ફેઝ-2 વિસ્તારમાં છુપાયો હોવાનું જાણવા મળ્યું હતું. બોટાદ પેરોલ-ફર્લો સ્કૉડ તાત્કાલિક જામનગર પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. વધુ કાર્યવાહી માટે તેને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 12:09 pm

બોટાદમાં કોરોના વોરીયર્સ ગ્રુપે ધાબળા વિતરણ કર્યા:મકરસંક્રાંતિ નિમિત્તે ગરીબ અને શ્રમિકોને મદદ

બોટાદમાં કહાનગુરુદેવ પ્રેરિત કોરોના વોરીયર્સ ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. ગત રાત્રિના સમયે ગરીબ અને શ્રમિક વર્ગના લોકોને આ ધાબળા આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર, બોટાદ ખાતે યોજાયો હતો. ગુરુદેવ કાનજીસ્વામીના ઉપદેશ હેઠળ દાતાઓના સહયોગથી રાજાભાઈ કોઠારી અને તેમની ટીમે આ વિતરણ કર્યું હતું. કુલ 100 ઉત્તમ ગુણવત્તાના ધાબળા ઝવેરી જીન, રેલ્વે સ્ટેશન, એસ.ટી. ડેપો અને મલ્ટીપ્લેક્સ વિસ્તારના શ્રમિકોને આપવામાં આવ્યા. ઠંડીમાં ધાબળા મળવાથી જરૂરિયાતમંદ લોકોને રાહત મળી હતી. માનવસેવાની આ કામગીરીને શહેરમાં સરાહના મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 12:07 pm

ઉત્તરાયણમાં સુરક્ષા માટે 10 હજાર સ્ટીકરોનું વિતરણ:જાહેર સ્થળોએ સુરક્ષા સૂચનાઓવાળા સ્ટીકરો લગાવાયા, જાહેર રોડ ઉપર દોડીને પતંગ ન પકડો, જાણો ઈમરજન્સીમાં ક્યાં સંપર્ક કરવો

ઉત્તરાયણના તહેવાર દરમિયાન ચાઈનીઝ દોરીનો ઉપયોગ, છાપરા ઉપર તેમજ જર્જરિત મકાનો ઉપર પતંગ ઉડાવવા, જાહેર રોડ ઉપર પતંગ ઉડાવવા અને રોડ પર દોડીને પતંગ પકડવામાં આવતા હોય છે, જેના કારણે દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન નાગરિકોની સુરક્ષા અને સલામતીનું જાગૃત્તતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કુલ 10,000 જાગૃતિ પોસ્ટરો/સ્ટીકરો છપાવી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યા છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન સલામતી માટે શું અને કેવી રીતે ધ્યાન રાખવું તેની સૂચના આપવામાં આવી છે. જાહેર સ્થળોએ સુરક્ષા સૂચનાઓવાળા સ્ટીકરો લગાવાયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તથા ફાયરબ્રિગેડ સહયોગથી ઉત્તરાયણ દરમિયાન જાહેર સુરક્ષા જાગૃતિ માટે વ્યાપક અભિયાન હાથમાં લગાવવામાં આવેલા સ્ટીકરોમાં ઉત્તરાયણમાં વહેલી સવારે 6 વાગ્યા પહેલા અને સાંજે 6 વાગ્યા પછી પતંગ ન ઉડાવવા, ચાઈનીઝ દોરીનો ઉપયોગ ટાળવા, ગીચ વિસ્તારોમાં પતંગ ન ઉડાવવા,જર્જરિત કે જોખમી છતો પર પંતગ ન ઉડાડવા, ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાડવો, પતંગબાજી દરમિયાન પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો, બાળકોની દેખરેખ રાખવા, રસ્તા પર વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવા, પતંગ પકડવાનાં જોખમી પ્રયાસો ન કરવા, તેમજ પક્ષીઓ અને પર્યાવરણની સુરક્ષા જાળવવા અંગેની અપીલ કરવામાં આવી છે. કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિમાં 112 નંબર પર તાત્કાલિક સંપર્ક કરવા તથા ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે પશુ સારવાર કેન્દ્ર – 1962 પર સંપર્ક કરવાની સૂચના પણ સ્ટીકરોમાં આપવામાં આવી છે. જવાબદારીપૂર્ણ અને આનંદમય તહેવાર ઉજવવા નાગરિકોને અપીલ આ સ્ટીકરો અમદાવાદ ટ્રાફિક વિભાગ, અમદાવાદ ફાયર બ્રિગેડ, અમદાવાદ સિવિલ ડિફેન્સ, અમદાવાદ 108 મેડિકલ સર્વિસીસ, અમદાવાદ મેન્ટલ હોસ્પિટલ (નમસ્કાર સર્કલ) તેમજ અન્ય જાહેર સ્થળો અને સરકારી એકમોમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ ફાયર સ્ટેશનો, 108 વિભાગો, સિવિલ ડિફેન્સ, સરકારી શાળાઓ તથા અન્ય પબ્લિક પ્લેસ પર પણ આ સ્ટીકરો વિતરણ કરવામાં આવ્યા છે. જાહેર કરાયેલી સૂચનાઓનું પાલન કરી ઉત્તરાયણનો તહેવાર સુરક્ષિત, જવાબદારીપૂર્ણ અને આનંદમય રીતે ઉજવવામા આવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 12:05 pm

હિંમતનગરમાં 68 બારીસ પ્રણામી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ:16 ટીમ ભાગ લીધો, રાજેન્દ્રનગરની ટીમ વિજેતા બની

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હીર સ્પોર્ટ્સ ક્લબ ખાતે 68 બારીસ પ્રણામી સમાજની ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ દાવલી અને રાજેન્દ્રનગર વચ્ચે રમાઈ હતી, જેમાં રાજેન્દ્રનગરની ટીમ વિજેતા બની હતી. વિજેતા બનેલી રાજેન્દ્રનગરની ટીમને ટ્રોફી અને રૂપિયા 11,000નો રોકડ પુરસ્કાર ગિરીશકુમાર જે. ધનુલા દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. આ ત્રિદિવસીય ટુર્નામેન્ટનું સફળ આયોજન રૂપાલના મનોજ પ્રણામી, સુભાષ મકવાણા સહિતની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવીને કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 12:02 pm

મામાકોઠામાં 70 ફૂટ ઊંચા ઝાડ પર દોરીમાં ફસાયેલા કબૂતરનું રેસ્ક્યુ:આકાશમાં ઉમંગ સાથે અબોલ જીવોની સુરક્ષાનું પણ રાખો ધ્યાન, પક્ષીઓને બચાવવા અપીલ

મહાદેવ પશુ-પક્ષી સેવા અને ફાયરબ્રિગેડની ટીમે જીવ બચાવ્યો ગુજરાતીઓના મનગમતા પર્વ ઉત્તરાયણ આવતીકાલે છે, ત્યારે આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જશે. પરંતુ આ આનંદ વચ્ચે આકાશમાં વિહરતા નિર્દોષ પક્ષીઓ અને રસ્તા પર દોડતા પશુઓ માટે આ તહેવાર જીવલેણ સાબિત થઈ શકે છે પતંગની કાચ પાયેલી ધારદાર દોરી દર વર્ષે હજારો પક્ષીઓના મોત અને ઈજાનું કારણ બને છે, ​પક્ષીઓની સુરક્ષા માટે વિશેષ સાવચેતી​જીવદયા પ્રેમીઓ અને વન વિભાગ દ્વારા નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવી છે. કબૂતર આશરે 70 ફૂટની ઊંચાઈએ લટકી રહ્યું ​શહેરમાં અબોલ જીવોની વહારે આવતી મહાદેવ પશુ-પક્ષી સેવા સંસ્થાએ ફરી એકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મામાકોઠા વિસ્તારમાં આવેલી સરકારી નિશાળમાં એક કબૂતર ઊંચા ઝાડ પર દોરીમાં ફસાઈ ગયું હોવાના સમાચાર મળતા જ સંસ્થાની ટીમે ત્વરિત કામગીરી હાથ ધરી હતી, ​મહાદેવ પશુ-પક્ષી સેવાની હેલ્પલાઇન પર ફોન દ્વારા માહિતી મળી હતી કે, મામાકોઠારની સરકારી શાળાના મેદાનમાં આવેલા એક ઘટાદાર ઝાડ પર એક કબૂતર પતંગની જીવલેણ દોરીમાં ખરાબ રીતે ફસાયેલું છે. સંસ્થાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં જોતા માલૂમ પડ્યું કે કબૂતર આશરે 70 ફૂટની ઊંચાઈએ લટકી રહ્યું હતું, ​ઊંચાઈ વધુ હોવાથી સંસ્થા દ્વારા તાત્કાલિક ફાયરબ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો હતો, ફાયરબ્રિગેડનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો ભારે જહેમત અને સાવધાનીપૂર્વક ફાયરબ્રિગેડની મદદથી ઝાડ પર ચડીને દોરીમાં ફસાયેલા કબૂતરને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યું હતું, ​​આ સાહસિક અને માનવીય કાર્યમાં મહાદેવ પશુ-પક્ષી સેવાના સભ્યો કાનાભાઈ ત્રિવેદી, ડી.કે. પરમાર, ભરતભાઈ તેમજ ફાયરબ્રિગેડના સ્ટાફે ખડેપગે રહીને મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્થાનિક લોકોએ પણ આ ટીમોની ત્વરિત કામગીરીને બિરદાવી હતી, ​સમયનું ધ્યાન રાખો સવારે 6 થી 9 અને સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન પક્ષીઓ આકાશમાં વધુ વિહરતા હોય છે આ સમયે પતંગ ચગાવવાનું ટાળવું જોઈએ જેથી અકસ્માત ઘટાડી શકાય, તેમજ ખાસ ચાઈનીઝ માંજો કે પ્લાસ્ટિકની દોરી પક્ષીઓ અને માણસો બંને માટે અત્યંત ખતરનાક છે. તે ક્યારેય ઓગળતી નથી અને પક્ષીઓની પાંખો કાપી નાખે છે માત્ર સુતરાઉ દોરીનો જ ઉપયોગ કરવો જોઈએ, પતંગ કપાયા બાદ રસ્તા પર પડેલી દોરીનો નિકાલ કરવો જોઈએ, ભાવનગર શહેર અને જિલ્લામાં પક્ષી બચાવવા કાર્યરત જીવદયા રક્ષકોના નામ અને નંબર પ્રેરણા ફાઉન્ડેશન હેલ્પલાઇન 63563 71000 વન વિભાગ - 1926, 8320002000 ભાવનગર શહેર અખિલેશ સર્કલ (ચંદ્રિકબેન ચૌહાણ) 8780892068 અખિલેશ સર્કલ (પારસભાઈ ચૌહાણ) 8128372607 સુભાષનગર (દિલીપ પરમાર) 9824535447 રાણીકા (કાર્તિક ત્રિવેદી) 9825119797 વિજયરાજનગર (હરીભાઈ શાહ) 9537092566 નવાપરા (મિલિંદ શાહ) 7203932815 નવાપરા (રાજુભાઈ ચૌહાણ) 9974146150 ડોનચોક (દિશાની સોમાણી) 9825596464 કુંભારવાડા (અલ્પેશ ડાભી) 9033846554 ચૌદનાળા (હાર્દિક ચૌહાણ) 9773237826 ચિત્રા-ફુલસર (નિખિલતા બારૈયા) 7203863653 મેઘાણી સર્કલ (સોનલબેન ઉંડવીયા) 99988 46789 કુંભારવાડા (મુકેશભાઈ મકવાણા) 7861951515 કુંભારવાડા (રાજવીર ચુડાસમા) 9726118527 મંત્રેશ (જય બારૈયા) 73593 23294 ફુલસર (ભાર્ગવ ભટ્ટી) 756768-0209 અકવાડા (ભરતભાઇ ગોહેલ) 9825757649 મોતીબાગ ટાઉનહોલ (માઘવભાઈ પરમાર) 9601121200 જશોનાથ સર્કલ (દર્શન ચૌહાણ) 7043041032 સિહોરતેજસ પરમાર 9429947379 દેવાંગ ખત્રી 90339 03797 ચોગઠ ગામ (ગોપાલભાઈ મકવાણા) 8460050094 ટાણાકિશોરભાઈ પરમાર 6351310510મહેન્દ્રસિંહ ગોહિલ 99987 19822હાર્દિક બારૈયા 93272 02905પારસ ચૌહાણ 6355 433 473પ્રદીપસિંહ ગોહિલ 92650 77967મિલનભાઈ બારૈયા 9328414490 બુઢણા ગામ (ભાવિકભાઈ મહેતા) 97232 27405 વરલ ગામ (અવિનાશ રાઠોડ) 97251 29791 ઢુંઢસર ગામ (વિજયભાઈ ગોહીલ) 8140658435ઢુંઢસર ગામ (અજય પરમાર) 9313918949દિહોર ગામ (નિલેશ દવે) 9586547921 તળાજાજયતુભાઈ આહીર- 9723972575રામદેવસિંહ પરમાર 9510585353પ્રવિણભાઇ આહિર 9723231493વિજય વેગડ 9016509525રાજદિપભાઈ દેસાઈ 7046695806પથુભાઈ દેસાઈ 8347082021 પાલિતાણા કલ્પેશભાઈ 9714742463ભરતભાઇ રાઠોડ 9712907755અરહમ ગ્રુપ એમ્બ્યુલન્સ પાલિતાણા6262808003દિનેશ ચૌહાણ 9624716186 સેંજળીયા ગામ ( કેતનભાઇ રાઠોડ ) 9327017001

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 12:02 pm

MPના વૃદ્ધાનું ત્રણ વર્ષે પરિવાર સાથે મિલન:સેવાયજ્ઞ સમિતિ અને પોલીસે કરાવ્યું સુખદ પુનર્મિલન કરાવ્યું

ભરૂચમાં સેવાયજ્ઞ સમિતિ અને પોલીસ વિભાગના સહયોગથી મધ્યપ્રદેશના અનૂપપૂર જિલ્લાના એક ગામના 55 વર્ષીય વૃદ્ધાનું ત્રણ વર્ષ બાદ પરિવાર સાથે પુનર્મિલન થયું છે. ત્રણ વર્ષ પહેલા વૃદ્ધા ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિર નજીક અજાણી હાલતમાં મળી આવ્યા હતા. એક સેવાભાવી વ્યક્તિએ સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટને આ અંગે જાણ કરી હતી. સમિતિએ તેમને આશ્રય આપી અનાથ વૃદ્ધાશ્રમમાં રાખ્યા હતા. વૃદ્ધા પોતાનું નામ, વતન કે પરિવાર વિશે કોઈ માહિતી આપી શકતા ન હતા. તેઓ માત્ર મધ્યપ્રદેશની સ્થાનિક ભાષા સમજતા હતા. સેવાયજ્ઞ સમિતિના સ્વયંસેવકોએ ત્રણ વર્ષ સુધી તેમની સંભાળ રાખી અને જરૂરી સારવાર પણ પૂરી પાડી. તાજેતરમાં વૃદ્દાએ સંસ્થાના સ્વયંસેવક પાયલ ગાંધી સાથે વાતચીત દરમિયાન વતન પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમની પાસેથી મળેલી મર્યાદિત માહિતીના આધારે સેવાયજ્ઞ સમિતિના કાર્યકર હિમાંશુ પરીખે પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે ઝડપથી તપાસ કરીને વૃદ્ધાના પરિવારજનોને શોધી કાઢ્યા અને સમિતિનો સંપર્ક કરાવ્યો હતો. વૃદ્ધાના પુત્રએ જણાવ્યું કે તેમની માતા માનસિક રીતે અસ્થિર હોવાથી વર્ષ 2022માં ઘરેથી ગુમ થયા હતા. પરિવારે લાંબા સમય સુધી શોધખોળ કરી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો મળ્યો ન હતો. સેવાયજ્ઞ સમિતિએ વૃદ્ધાના પુત્ર અને જમાઈને ભરૂચ બોલાવ્યા હતા. ત્રણ વર્ષ બાદ માતાને જોઈ પરિવારજનો ભાવુક થયા હતા. સેવાયજ્ઞ સમિતિ અગાઉ પણ અનેક અનાથ અને ગુમ થયેલા લોકોનું તેમના પરિવાર સાથે પુનર્મિલન કરાવી ચૂકી છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 11:47 am

રાત્રે 1 વાગ્યે દીકરી સાથે જીવ બચાવી ઘરેથી ભાગી:નવા વર્ષની શરૂઆતમાં દાંગીના લેવા પતિએ પત્નીને મુક્કો મારતા નાકમાંથી લોહી વહ્યું; અંધારામાં છુપાઈ 181ને કોલ કર્યો

મહેસાણા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અંદાજે 30 વર્ષીય પરિણીતાને તેના પતિ દ્વારા લાંબા સમયથી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. લગ્નજીવન દરમિયાન મહિલાને બે દીકરી હોવા છતાં પતિનું અત્યાચારભર્યું વર્તન તેના પર સતત ચાલુ રહ્યું હતું. જ્યારે નવા વર્ષની શરૂઆતની રાત્રે પતિએ મહિલાના દાગીના માગીને ઉગ્ર તકરાર કરી કરતા મહિલાને પોતાનો જીવ બચાવવા અડધી રાત્રે ઘર છોડવું પડયું હતું. પતિએ મુક્કો મારતા નાકમાંથી લોહી વહેવા લાગ્યું પતિએ પત્ની પાસે દાગીના માંગતા પત્નીએ તે દાગીના તે વેચી ન મારે માટે તેને આપવાનો ઈન્કાર કર્યો હતો, જેથી તેનો પતિ તેના પર ઉગ્ર બની ભડક્યો હતો. આવેશમાં આવેલ પતિએ પત્નીને ઢોર માર માર્યો હતો. પતિએ મુક્કા મારતા મહિલાના નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. મહિલા 1 વાગ્યે દીકરી સાથે જીવ બચાવી ભાગીએટલું જ નહીં, વધુ આવેશમાં આવી પતિએ પાણીની મોટર ઉપાડી દોડી આવી મહિલાને જાનથી મારી નાખવા પ્રયાસ કર્યો હતો. જોકે મહિલાએ સમય સુજકતાથી પોતાની નાની દીકરીને લઈને જીવ બચાવવા ઘર છોડીને બહાર ભાગી ગઈ હતી. રાત્રિના 1 વાગ્યાના સમયે મહિલા ઘરથી થોડે દૂર જઈ પતિથી જીવ બચાવવા અંધારામાં છુપાઈ રહી હતી. મહિલાએ પતિ વિરુદ્ધ પોલીસમાં અરજી આપીઘટનાને લઈ ભયભીત બનેલ મહિલાએ 181 મહિલા હેલ્પલાઈન પર ફોન કર્યો હતો. ફરિયાદ મળતાં જ 181ની ટીમ તાત્કાલિક મહિલા પાસે પહોંચી હતી. જ્યાંથી મહિલાને સુરક્ષિત રીતે પોતાની ગાડીમાં લઈ પોલીસ મથકે પહોંચાડવામાં આવી હતી. કાઉન્સેલર દ્વારા મહિલાની રજુઆત સાંભળી તેને તેની સુરક્ષા અને નિર્ભય બનવા માટે કાયદાકીય સમજ આપવામાં આવી હતી. બાદમાં મહિલાએ તેના પતિ વિરુદ્ધ પોલીસને લેખિત અરજી આપી કાર્યવાહી કરવાની માગણી કરી હતી. આ ઘટનામાં પોતાના જ ઘરમાં અસુરક્ષિત બનેલ મહિલાને 181ની ટીમે મદદરૂપ બની ફરજની સાથે એક સામાજિક જવાબદારી પણ અદા કરી હતી.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 11:42 am

કેજરીવાલ-સંજયસિંહને ગુજરાત હાઇકોર્ટમાંથી ઝટકો:કેસથી અલગ કરવાની કેજરીવાલની અરજી ફગાવી, PMના ડિગ્રી કેસમાં બંને સામે માનહાનિ કેસ ચાલશે

કેજરીવાલ અને સંજયસિંહને ગુજરાત હાઇકોર્ટમાંથી ઝટકો મળ્યો છે. PMની ડિગ્રી અંગે કરેલી ટિપ્પણીના કેસમાંથી અલગ કરવાની કેજરીવાલની અરજી હાઇકોર્ટે ફગાવી છે. હવે હાઈકોર્ટના ટ્રાયલ બાદ કેસ આગળ વધારાશે. સાંસદ સંજયસિંહે કરેલી અરજી પણ ફગાવી દેવાઈ છે. અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ તથા સાંસદ સંજયસિંહની અરજીઓ નામંજૂર કરી હતી. જેની સામે તેઓ ગુજરાત હાઇકોર્ટમાં અપીલમાં પહોંચ્યા હતા. કોર્ટે બંને પક્ષોને સાંભળીને ચુકાદો અનામત રાખ્યો હતો. મૂળ આ કેસમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે 2023માં કરેલા નિવેદનોને લઈ ગુજરાત યુનિવર્સિટીએ દાખલ કરેલા માનહાનિના કેસમાં રાહત માંગી હતી. નિર્ણયને અયોગ્ય ગણાવી રદ કરવાની માગ કરી હતી અમદાવાદ મેજિસ્ટ્રેટ કોર્ટ બંને રાજકારણીઓ સામેના ફોજદારી માનહાનિના કેસની કાર્યવાહી ચલાવી રહી હોવાથી, કેજરીવાલે પોતાની ટ્રાયલ સંજયસિંહની ટ્રાયલથી અલગ કરવાની અરજી કરી હતી. તેમનો દાવો હતો કે તેમની ઉપર કાવતરું અથવા સામાન્ય ગુનાહિત ઇરાદાને આગળ વધારવાનો કોઈ આરોપ નથી, તેથી કોર્ટએ તેમની ટ્રાયલ સિંહની ટ્રાયલથી અલગ કરવી જોઈએ. સંજય સિંહે પોતાની ગેરહાજરીમાં પરંતુ પોતાના વકીલોના નિર્દેશ મુજબ પોતે નિર્દોષ હોવાનો દાવો નોંધાવતા, ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC)ની કલમ 251 હેઠળ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેમના વકીલની હાજરીમાં તેમની પ્લી નોંધવાના નિર્ણયને પડકાર્યો હતો. તેમણે આ નિર્ણયને અયોગ્ય ગણાવી રદ કરવાની માંગ કરી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટે બંને રાજકારણીઓની અરજીઓ નામંજૂર કરી હતી, જેને લઈને તેમણે નીચલી કોર્ટના આદેશોને પડકાર્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના વકીલ અમિત નાયરે બંને અરજીઓનો કડક વિરોધ કર્યો હતો. કેજરીવાલની અરજીની સુનાવણી બાદ વધારાના સેશન જજ એમ. પી. પુરોહિતે કેજરીવાલની ટ્રાયલ અલગ કરવાની માગણી નામંજૂર કરી હતી. ગુજરાત યુનિ.એ 2023માં માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી કોર્ટે કહ્યું હતું કે એવું લાગે છે કે બંને એક જ ઘટનાક્રમમાં સામેલ હતા, જે એક સામાન્ય હેતુથી પ્રેરિત છે અને તેમની કાર્યવાહીમાં સતતતા છે. તેમણે માનહાનિકારક ભાષાનો ઉપયોગ કર્યો છે અને સંબંધિત ઘટનાક્રમ દરમિયાન એક વિડિયો પણ અપલોડ કર્યો છે. તેથી પ્રાથમિક દૃષ્ટિએ, CrPCની કલમ 223ની ઉપકલમ (a)ની જોગવાઈ હાલના કેસના તથ્યો પર લાગુ પડે છે. સંજયસિંહની અરજી નામંજૂર કરતાં કોર્ટે જણાવ્યું છે કે જે આદેશ આરોપીના પોતાના પ્રારંભ અને આમંત્રણ પર તેના હિતમાં પસાર થયો હોય, તેને કોર્ટ રદ કરી શકતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે રાજકારણીઓ દ્વારા કરાયેલા નિવેદનોને લઈને ગુજરાત યુનિવર્સિટીએ એપ્રિલ 2023માં માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. યુનિવર્સિટીએ પોતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતા માન હાનિકારક નિવેદનો અને સંકેતો કરાયા હોવાનું જણાવ્યું હતું, જેના આધારે મેટ્રોપોલિટન કોર્ટે કેસનો સંજ્ઞાન લઈને કેજરીવાલ અને સિંહને સમન્સ જારી કર્યા હતા. આ ઘટના, હાઇકોર્ટે મુખ્ય માહિતી કમિશન (CIC) દ્વારા ગુજરાત યુનિવર્સિટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની MA ડિગ્રી જાહેર કરવાની આપેલી સૂચના રદ કરી હતી, તેના એક મહિના અંદર બની હતી. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 11:39 am

‘સમાજમાં સિંગલ ચાઈલ્ડ, નો ચાઈલ્ડ જેવા ટ્રેન્ડ જોખમી’:અગાઉ 20 વર્ષે થતા લગ્ન હવે 28-30 વર્ષે થાય છે, પંચાલ સમાજના નિર્ણયને મારૂ સમર્થનઃ આર. પી. પટેલ

આધુનિક જીવનશૈલી અને બદલાતા વિચારોના કારણે આજે સમાજોમાં સિંગલ ચાઈલ્ડ અને નો ચાઈલ્ડ જેવા ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યા છે. આ ટ્રેન્ડ લાંબા ગાળે સમાજ, પરિવાર અને રાષ્ટ્ર માટે કેટલા જોખમી બની શકે છે તે અંગે હવે અનેક સમાજના આગેવાનો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આવા સમયમાં પંચાલ સમાજ દ્વારા બીજા સંતાન માટે આર્થિક સહાય આપવાનો લેવાયેલો નિર્ણય સમાજ માટે નવી દિશા દર્શાવતો બન્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. પંચાલ સમાજના આ નિર્ણયને સમર્થન આપતા વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર. પી. પટેલે તેને સમયની જરૂરિયાત ગણાવી છે. જાપાન, દ. કોરિયા અને યુરોપના દેશોની પણ જન્મદર વધારવા મહેનતઃ આર.પી. પટેલ આ અંગે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતું કે, 11 જાન્યુઆરીએ પંચાલ સમાજે જે જાહેરાત કરી એ ખરેખર ખૂબ જ આવકારદાયક અને પ્રશંસનીય ગણી શકાય. તેમણે તેમના સમાજમાં બીજા બાળક માટે આર્થિક સહાય આપવાની જે જાહેરાત કરી અને સમગ્ર સમાજને એક સંદેશ આપ્યો છે. આજે આધુનિકતાના નામે હિન્દુ સમાજની અંદર જે સિંગલ ચાઈલ્ડ અને નો ચાઈલ્ડનો જે ટ્રેન્ડ ચાલ્યો છે એ સામાજિક લેવલે, રાષ્ટ્ર લેવલે કેટલો ખતરનાક છે, એની કદાચ આપણને આજે ખબર નથી. પણ એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપના દેશો આજે જન્મદર વધારવા માટે કેટલી મહેનત કરી રહ્યા છે. ‘એક જ બાળક હોય, કદાચ ન કરે નારાયણ અને એક્સિડન્ટ થયો તો’સિંગલ ચાઈલ્ડના કોન્સેપ્ટના કારણે પારિવારિક અને સામાજિક કેટલી સમસ્યાઓ પેદા થાય છે. એક જ બાળક હોય, કદાચ ન કરે નારાયણ અને એક્સિડન્ટ થયો તો, કોઈ ગંભીર બીમારીના કારણે એ અપંગ થયો તો, એનું મૃત્યુ થયું તો, કોઈપણ કારણસર કમાનાર વ્યક્તિ એકની એક હોય અને પરિવારમાં ન રહે તો એ પરિવારની આર્થિક તકલીફ કેટલી ઊભી થાય છે, એ તો જેના ઘરે તકલીફ આવી હોય એને જ ખબર પડે. પારિવારિક સંખ્યાનો દર ઘટવાના કારણે સામાજિક શક્તિ પણ તૂટતી જાય છે અને એ સામાજિક શક્તિ જે આર્થિક વૃદ્ધિ માટે પણ જરૂરી છે અને રાષ્ટ્ર માટે પણ જરૂરી છે. એની અંદર જ્યારે ઘટાડો થાય ત્યારે સનાતની શક્તિ પણ ઘટતી જાય અને કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય એનો ચોક્કસ આજે વિચાર કરવો પડે. આ પણ વાંચો… વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશનના પ્રમુખ અને ફાઉન્ડર જયંતીલાલ પંચાલ કહ્યું- પંચાલ સમાજમાં 50%થી વધુ દંપતીને બીજું સંતાન નથી ‘વધુ બાળકને જન્મ આપવો સનાતનની આવશ્યકતા અને જરૂરિયાત’ અગાઉમાં 20 વર્ષે લગ્ન થતા હતા, એના પછી ટ્રેન્ડ બદલાયો 25 વર્ષનો. આજે ટ્રેન્ડ થયો છે લગભગ 28-30 વર્ષે લગ્ન થાય છે. મતલબ કે 100 વર્ષની અંદર જો 20 વર્ષે લગ્ન થાય તો પાંચ પેઢી થાય, 25 વર્ષે લગ્ન થાય તો ચાર પેઢી થાય અને 28-30 વર્ષે થાય તો ત્રણ પેઢી થાય. ત્રણ પેઢીને લઈને આજે એમાંય દસેક પરિવારો એવા હોય કે જે નિસંતાન હોય. આ સંજોગોની અંદર હિન્દુ સમાજમાં જે રીતે સંખ્યાનો દર ઘટતો જાય, એ પરિસ્થિતિ જો લાંબો સમય ચાલે તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય એનો વિચાર આજે જ કરવો પડે. કારણ કે આજે વિચારેલી વસ્તુ 25થી 30 વર્ષ પછી અમલી બનવાની છે. એટલે પંચાલ સમાજે જે નિર્ણય લીધો છે એ પ્રમાણે હિન્દુ સમાજમાં એકથી વધુ બાળકોને જન્મ આપવો એ આજની આપણી સનાતનની આવશ્યકતા અને જરૂરિયાત બની ચૂકી છે. વધુ બાળકો પેદા કરવાનું આર.પી.પટેલનું નિવેદનથી પાટીદારોમાં ભાગલા, રેશમાએ કહ્યું-મોંઘવારીમાં આટલાં બાળકો કેમ ઉછેરવાં?, કથીરિયા બોલ્યાઃ ચિંતાનો વિષય 10 ઓગસ્ટ,2025ના નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં પણ વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે આ મામલે નિવેદન આપ્યું હતુ. તેમણે જણાવ્યું હતું કે, સમાજનું સંખ્યાબળ ઘટતું જાય છે અને એના કારણે આપોઆપ સામાજિક તાકાત અને રાજકીય શક્તિ પણ ઘટતી જાય છે તથા અસ્તિત્વ માટે લડવું પડે એવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, એ બાબતે ચિંતા વ્યક્ત કરી ઓછામાં ઓછાં ત્રણથી ચાર બાળક પેદા કરવાં જોઇએ. આ નિવેદન મામલે દિવ્ય ભાસ્કરે અલ્પેશ કથીરિયાથી લઈ લાલજી પટેલ સહિતના પાટીદાર સમાજના આગેવાનો સાથે વાત કરી હતી. જો કે પાટીદાર સમાજના આગેવાનોમાં આ અંગે વિરોધાભાસ જોવા મળ્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર)

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 11:35 am

સાબરકાંઠા LCB એ રીઢા ઘરફોડ ચોરની પાસા હેઠળ અટકાયત કરી:અમદાવાદના જાકીર શેખને અમરેલી જેલમાં મોકલાયો

સાબરકાંઠા LCB એ સાબરકાંઠા, ખેડા અને અમદાવાદ શહેરના વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરનાર એક રીઢા ગુનેગારની પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ અટકાયત કરી છે. આરોપીને અમરેલી મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ અંગે સાબરકાંઠા LCB ના PI ડી.સી. સાકરીયાએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, દિવસ અને રાત્રી દરમિયાન ઘરફોડ ચોરી કરવાની ટેવ ધરાવતો જાકીરભાઈ ઉર્ફે ચુહો અઝીઝભાઈ શેખ (રહે. રૂમ નં. 260, બ્લોક નં. 209, સરકારી આવાસ, વટવા, અમદાવાદ) પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ બંધ કરતો ન હતો. આથી, જાકીરભાઈ ઉર્ફે ચુહો અઝીઝભાઈ શેખ વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ દરખાસ્ત પોલીસ અધિક્ષક મારફતે સાબરકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે આરોપીની પાસા હેઠળ અટકાયત કરવાનો આદેશ આપ્યો હતો, જેના પગલે તેની ધરપકડ કરીને અમરેલી ખાતેની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા, તેની સામે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાંચ ચોરીના ગુના, ખેડાના કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં અને અમદાવાદના વટવા તથા સાણંદ પોલીસ સ્ટેશનમાં પણ ચોરીના ગુના નોંધાયેલા છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 11:14 am

સૌથી વધુ ઘરેલુ હિંસાના 2,387 કોલ મળ્યાં:મહેસાણામાં '181 અભયમ'ને વર્ષમાં મહિલા-વિદ્યાર્થિનીઓ તરફથી મદદ માટે 4558 કોલ મળ્યાં

ગુજરાતમાં કાર્યરત '181 અભયમ' મહિલા હેલ્પલાઈન પીડિત મહિલાઓ માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. રાજ્યભરમાં છેલ્લા એક વર્ષમાં 1,83,520 જેટલા કોલ્સ મળ્યા હતા, જેમાંથી 37,380 કિસ્સાઓ અત્યંત સંવેદનશીલ હોવાનું નોંધાયું છે. આ કતારમાં મહેસાણા જિલ્લો પણ પાછળ નથી, જ્યાં હજારો મહિલાઓએ મુશ્કેલીના સમયે આ હેલ્પલાઈનનો ભરોસો કર્યો છે. કોલ્સમાં સૌથી વધુ ચોંકાવનારો આંકડો ઘરેલુ હિંસાનો મહેસાણા જિલ્લાના આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા એક વર્ષમાં મહિલાઓ, યુવતીઓ અને વિદ્યાર્થિનીઓ તરફથી મદદ માટે કુલ 4558 કોલ્સ મળ્યા હતા. અભયમની ટીમે તમામ કિસ્સાઓમાં ત્વરિત પ્રતિસાદ આપી પોતાની ફરજ નિભાવી હતી. આ કોલ્સમાં સૌથી વધુ ચોંકાવનારો આંકડો ઘરેલુ હિંસાનો છે, જેમાં 2,387 મહિલાઓ ઘરકંકાસ કે હિંસાનો ભોગ બની હોવાનું સામે આવ્યું હતું. 574 જાતીય સતામણીની ફરિયાદ મળીઆ ઉપરાંત 574 મહિલાઓએ જાતીય સતામણી અંગે પોતાની ફરિયાદ નોંધાવી મદદ માગી હતી. 181 અભયમની ટીમ દિવસ હોય કે રાત, 24 કલાક સતત ખડેપગે રહીને પીડિત મહિલાઓ સુધી પહોંચી છે. માત્ર ઘટનાસ્થળે પહોંચવું જ નહીં, પરંતુ મહિલાઓની માનસિક સ્થિતિ સમજીને અસરકારક કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. ટીમે સામાજિક સ્તરે પ્રશ્નો ઉકેલવા માટે સામેવાળા પક્ષનું પણ કાઉન્સેલિંગ કરી સમાધાનકારી માર્ગ અપનાવ્યો હતો. 481 મહિલાઓના પ્રશ્નોનું સ્થળ પર જ સુખદ સમાધાનઆ એક વર્ષના સમયગાળા દરમિયાન મહેસાણા 181ની ટીમ દ્વારા 811 જેટલી મહિલાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તે પૈકી 481 મહિલાઓના પ્રશ્નોનું સ્થળ પર જ સુખદ સમાધાન લાવવામાં આવ્યું હતું, જ્યારે 290 મહિલાઓને વધુ સહાય કે કાયદાકીય મદદની જરૂર જણાતા અન્ય બચાવ એજન્સીઓ તરફ રીફર કરવામાં આવી હતી. આમ, મહેસાણા જિલ્લામાં મહિલા સુરક્ષા માટે 181 અભયમ હેલ્પલાઈન એક મજબૂત કવચ તરીકે ઉભરી આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 10:58 am

પાવી જેતપુર પોલીસે વિદેશી દારૂ ઝડપ્યો:શિહોદ ડાયવર્ઝન પરથી ₹2.54 લાખનો મુદ્દામાલ જપ્ત, એકની ધરપકડ

પાવી જેતપુર પોલીસે શિહોદ જનતા ડાયવર્ઝન પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક મારુતિ સ્વીફ્ટ ડિઝાયર કારમાંથી ₹2,54,532/- ની કિંમતની 636 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન શિહોદ જનતા ડાયવર્ઝન પરથી નંબર પ્લેટ વગરની એક મારુતિ સ્વીફ્ટ ડિઝાયર કાર પસાર થઈ રહી હતી. શંકાના આધારે પોલીસે કારને રોકાવીને તલાશી લીધી હતી. તલાશી દરમિયાન કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારચાલક વિપુલભાઈ સમલાભાઈ રાઠવા (રહે. ખૂંદા પીપળા ફળિયા, અંત્રોલી, તા.જી. છોટા ઉદેપુર) ને ઝડપી પાડ્યો છે. પોલીસે વિદેશી દારૂ, સ્વીફ્ટ ડિઝાયર કાર અને રોકડ સહિત કુલ ₹5,09,532/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. છોટા ઉદેપુર સરહદી જિલ્લો હોવાથી પરપ્રાંતમાંથી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે, જેને જિલ્લા પોલીસ નિષ્ફળ બનાવી રહી છે. પાવી જેતપુર પોલીસે આ કાર્યવાહી દ્વારા દારૂની હેરાફેરીનો વધુ એક પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 10:51 am

ટંકારામાં 83 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું:એક શખ્સની ધરપકડ, 2.84 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી જિલ્લાના ટંકારા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. હરિઓમ સોસાયટીમાં એક મકાનમાંથી 83.200 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ, બે મોબાઈલ ફોન અને એક ડિજિટલ વજન કાંટા સહિત કુલ ₹2,84,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SOG ટીમને ટંકારાની હરિઓમ સોસાયટીમાં રહેતા હાર્દિક ભાડજાના મકાનમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે SOG ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને હાર્દિક ભાડજાના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી 83 ગ્રામ અને 200 મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ₹2,49,600 આંકવામાં આવી છે. આ ઉપરાંત, ₹30,000 ની કિંમતના બે મોબાઈલ ફોન અને એક ડિજિટલ વજન કાંટો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી હાર્દિક નરેન્દ્રભાઈ ભાડજા (રહે. હરિઓમ સોસાયટી, ટંકારા) ની ધરપકડ કરી હતી. તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાઇકોટ્રોપીક સબસ્ટન્સિઝ એક્ટ 1985 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 10:41 am

જન્મનાં દાખલા માટે આવતા લોકોની મુશ્કેલી યથાવત:ગુજરાત સરકારે QR કોડવાળી એન્ટ્રી કરવાનો પરિપત્ર કર્યો, અધિકારીએ કહ્યું- માસિક 100 એન્ટ્રીની મર્યાદા છે અને રોજ 400થી વધુ અરજદારો આવે છે

રાજકોટ મહાનગરપાલિકામાં આધારકાર્ડ તેમજ મેરેજ સર્ટીફીકેટ સહિતનાં દસ્તાવેજો માટે જન્મનું પ્રમાણપત્ર અનિવાર્ય છે. જોકે તાજેતરમાં આધાર વિભાગે RMCનાં પ્રમાણપત્રો અમાન્ય હોવાનો નિર્ણય લીધો છે. જેને લઈ જન્મનું નવું પ્રમાણપત્ર કઢાવવા આવતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જન્મ-મરણ વિભાગે CRS પોર્ટલમાં એન્ટ્રી કરવી જરૂરી બની ગઈ છે. ગણ્યા-ગાંઠ્યા ઓપરેટરો વચ્ચે ગુજરાત સરકાર દ્વારા આ વધારાની કામગીરી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જોકે આવા દરરોજ 400 કરતા વધુ અરજદારો આવી રહ્યા છે, સામે સોફ્ટવેરમાં માસિક માત્ર 100 એન્ટ્રીની મર્યાદા હોવાની એરર આવી રહી છે. જેને લઈને અરજદારોની મુશ્કેલી યથાવત છે. જન્મનાં દાખલામાં ફેરફાર કરાવવા આવતા અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે. મનપા કચેરીએ આવેલા અરજદાર દીપાબેનએ જણાવ્યું કે, હું આધારકાર્ડમાં જન્મતારીખનો સુધારો કરવા આવી હતી. પ્રશ્ન એ થયો કે મારી પાસે જન્મનું પ્રમાણપત્ર અને મેરેજ સર્ટિફિકેટ માંગ્યું છે. મેં જન્મનું નવું પ્રમાણપત્ર કઢાવ્યું છે પણ તે બારકોડ વાળું માંગે છે. અત્યારે જે નવું કઢાવ્યું છે તે પણ નથી ચાલતું અને જૂનું કઢાવ્યું છે તે પણ નથી ચાલતું. અને મેરેજ સર્ટિફિકેટમાં પણ દીપાની જગ્યાએ ખાલી દીપાબેન લખેલું છે, એટલે એમાં પણ સુધારો કરવો પડશે. આમ, બંને નવા સર્ટિફિકેટ કઢાવ્યા છતાં કામ થતું નથી. અહીંથી એવું કહેવામાં આવે છે કે બારકોડ વાળો જન્મનો દાખલો જોઈશે અને બારકોડ વાળામાં પણ માત્ર 100 એન્ટ્રી કરવાની મર્યાદા હોવાનું કહેવામાં આવ્યું છે. અત્યારે આધારકાર્ડની બધે જ જરૂર પડે છે. જેના માટે જન્મનો દાખલો ફરજિયાત છે. તેમાં સુધારો થતો નથી ત્યારે આ ભૂલના સુધારા માટે હવે ક્યાં જવું? આ મામલે રાજકોટ મનપાનાં જન્મ-મરણ વિભાગના અધિકારી પ્રેરિત જોશીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ડેટા શિફ્ટિંગની કામગીરીને કારણે હાલ 'ઈ-ઓળખ' વેબસાઈટ બંધ રાખવામાં આવી છે. આ સ્થિતિમાં જૂની વિગતો નોંધવા માટે 'CRS' પોર્ટલનો ઉપયોગ કરવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ તેમાં ટેકનિકલ મર્યાદાઓ નડતરરૂપ બની રહી છે. CRS પોર્ટલમાં હાલ એક મહિનામાં માત્ર 100 એન્ટ્રી જ ડિજિટાઈઝ થઈ શકે તેવો મેસેજ આવી રહ્યો છે. જ્યારે વાસ્તવિક સ્થિતિ એ છે કે દરરોજ 400 થી 500 જેટલા અરજદારો પોતાની રજૂઆત લઈને આવે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, લાખોની સંખ્યામાં રહેલી પડતર અરજીઓની સામે માત્ર 100 એન્ટ્રીની મર્યાદા હોવાથી કોને પ્રાથમિકતા આપવી તે જ મોટો પ્રશ્ન બની ગયો છે. આ ગંભીર સમસ્યા અંગે સરકારમાં લેખિત, મૌખિક અને વોટ્સએપ જેવા તમામ માધ્યમો દ્વારા રજૂઆત કરી દેવામાં આવી છે. અત્યારે કચેરીએ આવતા અરજદારોને ડેટા શિફ્ટિંગની કામગીરી પૂર્ણ થયા બાદ કામ શરૂ થશે તેવો આશ્વાસનલક્ષી જવાબ આપવામાં આવી રહ્યો છે. જોકે, ઉપરથી હજુ સુધી કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી, જેના કારણે અરજદારોને સતત નવી તારીખ આપવામાં આવી રહી છે. હાલ અરજદારોને એપ્રિલ મહિના સુધી પ્રતીક્ષા કરવા માટે જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જન્મ-મરણ વિભાગ જુદા-જુદા ત્રણ પોર્ટલમાં કામ કરે છે. જેમાં એક મનપાનાં પોર્ટલમાં વર્ષ 1944થી 2020 સુધીની એન્ટ્રીઓ છે. આ પોર્ટલ દ્વારા કાઢવામાં આવેલો જન્મનો દાખલો આધારકાર્ડ કઢાવવા માટે અમાન્ય કરવામાં આવ્યો છે. અને 2020થી 2025 સુધીની એન્ટ્રી ગુજરાત સરકારનાં ઇ-ઓળખ પોર્ટલમાં કરવામાં આવી છે. જેમાં ફેરફાર કરવાની સતા સ્થાનિક અધિકારીઓ પાસે નથી. માટે જેને નામ કે સરનામામાં કોઈ ફેરફાર કરવો હોય તે થતો નથી. અને હાલમાં કેન્દ્ર સરકારનાં CRS પોર્ટલમાં એન્ટ્રી કરવામાં આવી રહી છે. આમ આધારકાર્ડ કઢાવવા માટે મનપાએ કરેલી અત્યાર સુધીની 20 લાખ કરતા વધારે એન્ટ્રીઓનું CRS પોર્ટલમાં સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેની સામે પૂરતો સ્ટાફ નહીં હોવાથી અરજદારો સાથે અધિકારીઓ પણ પરેશાન છે. ત્યારે સરકાર દ્વારા આ સમસ્યાનો ક્યારે અને શું ઉકેલ લાવવામાં આવે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 10:39 am

લાખો લીટર પીવાનું પાણી વહી ગયું:હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી દરમિયાન બીજીવાર પાણીની પાઇપલાઇન તૂટી, 10 ફૂટ પાણીનો ફુવારો થયો

અમદાવાદ શહેરના હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરી ચાલી રહી છે. બ્રિજ તોડવાની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. ઓવરબ્રિજ તોડવાની કામગીરી દરમિયાન મુખ્ય પીવાના પાણીની પાઈપલાઈન તોડી નાખવામાં આવી છે જેના કારણે સવારના સમયે લોકોને પીવાનું લાખો લિટર ચોખ્ખું પાણીનો ફુવારો 10 ફૂટ ઉડ્યો હતો. ત્રણ દિવસમાં બીજી વખત આ રીતે પાણીનો ફુવારો થયો છે અને પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે છતાં પણ બ્રિજ તોડનાર કોન્ટ્રાક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના અધિકારીઓએ આ બાબતે ધ્યાન આપ્યું નથી. લાખો લીટર પીવાનું પાણી CTM રોડ સુધી વહી ગયું હતું. આસપાસના વિસ્તારમાં જાણે કે કેનાલમાં વરસાદી પાણી છોડવામાં આવ્યું હોય અને ચોમાસા જેવા દૃશ્યો સર્જાયા હતા. પાણીની પાઇપલાઇન તૂટી, લાખો લીટર પાણી વહી ગયુંગત 10 જાન્યુઆરીના રોજ હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેના કારણે થઈને લાખો લીટર પાણી વહી ગયું હતું. આજે ફરી એકવાર 13 જાન્યુઆરીના રોજ સવારના સમયે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું અને લાખો લીટર પાણી રોડ ઉપર વહી ગયું હતું. એક તરફ પીવાના પાણીની સમસ્યા સર્જાય છે ત્યારે બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે પાણી રોડ પર વહી જાય છે. કોન્ટ્રાક્ટરની અણધડ કામગીરી, કોર્પોરેશનના આંખ આડા કાનહાટકેશ્વર બ્રિજની નીચેથી પાણીની પાઇપલાઇનનો પસાર થાય છે તેની જાણ પૂર્વ ઝોન ઇજનેર વિભાગના અધિકારીઓને હોય ત્યારે અધિકારીઓએ બ્રિજ તોડવાની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરને આ જગ્યા ઉપરથી લાઈન પસાર થાય છે જેથી ત્યાં સાવચેતીથી કામ કરવાની સૂચના આપવાની હોય છે, પરંતુ આવી કોઈ સૂચના આપ્યા વિના અણઘણ રીતે કોન્ટ્રાક્ટર પણ પોતાની કામગીરી કરતા પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે. AMC અને કોન્ટ્રાક્ટર વચ્ચે સંકલનનો અભાવસ્થાનિકોનો આક્ષેપ છે કે AMC તંત્રની ગંભીર બેદરકારીના કારણે આ ઘટના બની છે. ઓવરબ્રિજ તોડવાની કામગીરી દરમિયાન પાણી ખાતાના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે યોગ્ય સંકલન ન હોવાના કારણે, બ્રિજ તોડતા કોન્ટ્રાક્ટર દ્વારા સીધી જ પીવાના પાણીની લાઈનને નુકસાન પહોંચાડવામાં આવ્યું, જેના પરિણામે પીવાનું પાણી જાહેર માર્ગ પર વેડફાયું છે. પાણીની તંગી અને બચતની અપીલો વચ્ચે લાખો લીટર પાણી વહી ગયુંએક તરફ શહેરમાં પાણીની તંગી અને બચતની અપીલો થઈ રહી છે, ત્યારે બીજી તરફ આવી બેદરકારીને કારણે લાખો લિટર પીવાનું પાણી વેડફાતું હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. લોકો દ્વારા જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માગ ઉઠી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 10:37 am

પાટણમાં પદ્મનાભજી ભગવાનની જ્યોત સ્વરૂપે રવાડી નીકળી:દશમના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા

પોષ વદ દશમ, મંગળવાર, 13 જાન્યુઆરીના પવિત્ર દિવસે પાટણ ખાતે શ્રી પદ્મનાભજી ભગવાનની જ્યોત સ્વરૂપે પરંપરાગત રવાડી નીકળી હતી. આ ધાર્મિક પ્રસંગમાં પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર પરિસર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પદ્મનાભ મંદિરના મહંતો દ્વારા ભગવાનની પૂજા-અર્ચના અને મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ રવાડી સ્વરૂપે નીકળતી જ્યોતને પ્રજ્વલિત કરીને ભગવાનના વાણી-કીર્તન સાથે મંદિર પરિસરની પરિક્રમા કરવામાં આવી હતી. આ પછી, શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં બિરાજમાન શ્રી ગણપતિ દાદાના ક્યારે પૂજા-અર્ચના કરીને ફરીથી ભગવાન શ્રી પદ્મનાભજી મંદિર ખાતે દર્શન કરવામાં આવ્યા હતા. દશમના પવિત્ર દિવસે નીકળેલી આ જ્યોત સ્વરૂપ રવાડીના દર્શન અને પ્રસાદનો લાભ લઈને સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે મહંતો સહિત શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ અને ભક્તો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 10:35 am

પેરાશૂટ સાથે ઉડતો યુવક વીજ વાયર પર પડ્યો, VIDEO:100 ફૂટની ઊંચાઈએથી પડ્યા બાદ ફરાર થઇ ગયો, કોણ હતો ને ક્યાંથી આવ્યો એ રહસ્ય

જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં એક અનોખી ઘટના બની છે. હેલીપેડ સોસાયટી વિસ્તારમાં એક વ્યક્તિ પેરાશૂટ સાથે આકાશમાંથી વીજ વાયર પર પડ્યો હતો, જેનો વીડિયો વાયરલ થયો છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 100 ફૂટની ઊંચાઈએથી પડ્યા બાદ યુવક ફરાર થઇ છે. આ યુવક કોણ હતો ને ક્યાંથી આવ્યો દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. 100 ફૂટની ઊંચાઈએથી પડ્યોવીડિયોમાં જોવા મળે છે કે, કાલાવડ શહેરના મછલીવડ ચોકડી પાસે આવેલી હેલીપેડ સોસાયટી વિસ્તારમાં એક યુવક લગભગ 100 ફૂટની ઊંચાઈએથી પેરાશૂટ સાથે નીચે આવી રહ્યો છે. તે સમયે તેનું પેરાશૂટ અચાનક વીજ વાયર સાથે ફસાઈ જાય છે, જેના કારણે યુવક નીચે પટકાય છે. યુવક કોણ હતો ને ક્યાંથી આવ્યો એ રહસ્યઘટનાની જાણ થતાં કાલાવડ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આ વ્યક્તિ કોણ છે, તેણે ક્યાંથી ઉડાન ભરી હતી અને કઈ દિશામાં જવાનું હતું તે અંગેની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ હાલ એ પણ તપાસ કરી રહી છે કે પેરાશૂટ પહેરીને ઉડાન ભરવાનું કારણ શું હતું. સમગ્ર મામલે અલગ-અલગ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને પેરાશૂટથી ઉડાન ભરનાર વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે. સ્થાનિકોએ વીડિયો ઉતારીને વાયરલ કર્યોઆ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. આસપાસના લોકોએ અગાસી પરથી પેરાશૂટ ઉડાવતો અને પછી જમીન પર પટકાયો તેનો વીડિયો ઉતાર્યો હતો. રસ્તા પર લોકોની અવરજવર હોવાથી થોડા સમય માટે લોકો આ દ્રશ્ય જોવા ઉમટી પડ્યા હતા, જોકે પેરાશૂટ સાથે પડેલો યુવાન ત્યાંથી જતો રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 10:32 am

આ ઉત્તરાયણે ગાંધીનગરમાં ઉડશે 'વિકાસ'નો પતંગ:માણસામાં અમિત શાહ ગુજરાતની પ્રથમ 'હાઈ-ટેક BSL-4' લેબનો શિલાન્યાસ કરશે, કરોડોના કામનું લોકાર્પણ અને જાહેરસભા સંબોધશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે 13મી જાન્યુઆરીના રોજ પોતાના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરની મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને જનતાને ઉત્તરાયણ પૂર્વે વિકાસની ભેટ આપશે. સવારે 10 કલાકે માણસાની આર્ટસ કોલેજ સંકુલ ખાતે આશરે 13 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન રમતગમત સંકુલને તેઓ જાહેર જનતા માટે ખુલ્લું મૂકશે. આ સંકુલ દ્વારા ગ્રામીણ વિસ્તારના ઉભરતા ખેલાડીઓને આધુનિક સુવિધાઓ અને પ્લેટફોર્મ પ્રાપ્ત થશે. ગાંધીનગરને કરોડોના વિકાસ કામોની ભેટકેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરને કરોડોના વિકાસ કામોની ભેટ આપશે. કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યક્રમોને લઈને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. માણસામાં આર્ટસ કોલેજ અને ગાંધીનગરના સેક્ટર-28 ખાતે વિવિધ લોકાર્પણ પ્રકલ્પો માટે વિશેષ સ્ટેજ અને બેઠક વ્યવસ્થા ઉભી કરાઈ છે. સુરક્ષાના ભાગરૂપે ગાંધીનગર અને માણસામાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમિત શાહના હસ્તે માણસા તાલુકાના અન્ય સ્થાનિક વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ થનાર હોવાથી કાર્યકરો અને સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતની બીજી 'હાઈ-ટેક બાયો-સેફ્ટી લેવલ-4' લેબનો શિલાન્યાસગાંધીનગરના સેક્ટર-28માં પશુ આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવનારા પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવશે. જ્યારે એનિમલ વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ પાસે ગુજરાતની સર્વપ્રથમ અને ભારતની બીજી 'હાઈ-ટેક બાયો-સેફ્ટી લેવલ-4' (BSL-4) લેબનો પણ શિલાન્યાસ કરશે. આ લેબ અત્યંત ચેપી વાયરસ અને પશુઓના ગંભીર રોગો પર સંશોધન કરવા માટે સક્ષમ હશે. હાઈટેક બાયો કન્ટેઇનમેન્ટ ફેસીલીટીથી સજ્જ આ લેબ કાર્યરત થતા ગુજરાત પશુ આરોગ્ય અને વેક્સિન ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક નકશા પર અગ્રેસર સ્થાન હાંસલ કરશે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 10:23 am

ઉત્તરાયણ પર્વે સુરત પોલીસનું સુરક્ષા ચક્ર:આકાશથી જમીન સુધી બાજ નજર, ચાઈનીઝ દોરી પર કડક તવાઈ, 260થી વધુ અધિકારીઓ અને 2500 જવાનો તહેનાત રહેશે

સુરત શહેરમાં ઉત્તરાયણનો તહેવાર સુરક્ષિત અને આનંદમય રીતે ઉજવાય તે હેતુથી સુરત શહેર પોલીસ દ્વારા વ્યાપક અને સઘન સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગ દ્વારા તહેવારના દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. આ અંતર્ગત શહેરના તમામ વિસ્તારોમાં શાંતિ જળવાઈ રહે અને નાગરિકો નિર્ભય બની પર્વની ઉજવણી કરી શકે તે માટે પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ વિશેષ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. શહેરના મુખ્ય રસ્તાઓ અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખબંદોબસ્તની વિગતો જોઈએ તો, સુરત પોલીસે આ વર્ષે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. જેમાં 363 ઉચ્ચ પોલીસ અધિકારીઓ, 2500 પોલીસ કર્મચારીઓ, 800 TRB જવાનો, 1380 હોમગાર્ડ અને SRPની 5 કંપનીઓનો સમાવેશ થાય છે. આટલા વિશાળ કાફલા દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત 7 QRT ટીમ, 10 DCB ટીમ અને 10 SOGની ટીમો દ્વારા ખાસ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે. CCTV અને બોડીવોર્ન કેમેરા દ્વારા સતત સર્વેલન્સ કરવામાં આવશેઆધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે પોલીસ વિભાગ 150 જેટલા ધાબા પોઈન્ટ્સ પરથી સીધું સુપરવિઝન રાખશે. સમગ્ર શહેર પર CCTV કેમેરા અને બોડીવોર્ન કેમેરા દ્વારા સતત સર્વેલન્સ કરવામાં આવશે. આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે PCR વાન, 112 સેવા અને બાઈક પેટ્રોલિંગની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે, જેથી કોઈપણ સ્થળે તાત્કાલિક પોલીસ મદદ પહોંચી શકે. પોલીસ દ્વારા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને સુરક્ષા વ્યવસ્થાને વધુ સચોટ બનાવવામાં આવી છે. લાગણી દુભાય તેવા ગીતો કે ઉચ્ચારણો ન કરવા તાકીદ સુરત પોલીસે જાહેર જનતાને સાવચેતી રાખવા ખાસ અપીલ કરી છે. પતંગ ચગાવતી વખતે કે લૂંટતી વખતે ઘર્ષણ ટાળવા, નાના બાળકોને અગાશી પર વડીલોની હાજરીમાં રાખવા અને મોબાઈલ સેલ્ફી કે રીલ્સ બનાવવાની ઘેલછામાં અકસ્માત ન સર્જાય તેની કાળજી રાખવા જણાવાયું છે. સાથે જ કોઈની લાગણી દુભાય તેવા ગીતો કે ઉચ્ચારણો ન કરવા પણ તાકીદ કરવામાં આવી છે. પોલીસની આ મહેનત અને જનતાનો સહકાર ઉત્તરાયણને સાચા અર્થમાં સલામત બનાવશે. ગંભીર ઘટનાઓ રોકવા માટે પોલીસે સેવાકીય અભિગમ અપનાવ્યોતહેવાર દરમિયાન વાહનચાલકોના ગળા કપાવવાની ગંભીર ઘટનાઓ રોકવા માટે પોલીસે સેવાકીય અભિગમ અપનાવ્યો છે. સુરત પોલીસ દ્વારા વિવિધ NGO સાથે મળીને શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોઈન્ટ્સ પરથી 1,15,520 જેટલા સેફ્ટી બેલ્ટ અને 18,190 સેફ્ટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, સુરક્ષાના ભાગરૂપે જે ટુ-વ્હીલર પર સેફ્ટી ગાર્ડ લગાવેલા ન હોય, તેવા વાહનો માટે ફ્લાય ઓવર બ્રિજ પર પ્રવેશ પ્રતિબંધ અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પક્ષીઓની સારવાર માટે 'કરુણા હેલ્પલાઈન' સાથે પણ સતત સંકલનપ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ તેમજ ઉપયોગ સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને ચાઈનીઝ દોરીના સંગ્રહ અને ઉપયોગ બદલ અત્યાર સુધીમાં કુલ 44 જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે માનવ જીવન અને પક્ષીઓ માટે જોખમી એવી ચાઈનીઝ કે પ્લાસ્ટિકની દોરીનો ઉપયોગ કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પક્ષીઓની સારવાર માટે 'કરુણા હેલ્પલાઈન' સાથે પણ સતત સંકલન રાખવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 10:07 am

પ્રભાસ પાટણમાં મકરસંક્રાંતિ માટે પોલીસની તૈયારીઓ શરૂ:શાંતિ સમિતિ બેઠક યોજાઈ, ફૂટ પેટ્રોલિંગ કરી વેપારીઓને ચેતવણી

પ્રભાસ પાટણ પોલીસે મકરસંક્રાંતિ સહિતના આગામી તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પૂર્વ તૈયારીઓ શરૂ કરી છે. કાયદો-વ્યવસ્થા જાળવવા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ તૈયારીઓના ભાગરૂપે, પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ્પેક્ટર એચ. આર. ગોસ્વામીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને સામાજિક સૌહાર્દ જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સમિતિના સભ્યોને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરાઈ હતી. શાંતિ સમિતિની બેઠક બાદ, પોલીસ સ્ટાફ દ્વારા પ્રભાસ પાટણના મુખ્ય બજાર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવાનો હતો. પોલીસે વેપારીઓને દુકાનની બહાર રોડ પર માલસામાન ન રાખવા અને રસ્તા પર અડચણરૂપ પાર્કિંગ ન કરવા સ્પષ્ટ તાકીદ કરી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તહેવારો દરમિયાન મુખ્ય બજારમાં વાહન વ્યવહાર વધે છે. દુકાનની બહાર માલસામાન અથવા રસ્તા પર વાહનોના પાર્કિંગથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, જેનાથી નાગરિકોને મુશ્કેલી પડે છે. આથી, વેપારીઓ અને નાગરિકોને નિયમોનું પાલન કરવા અનુરોધ કરાયો છે. ફૂટ પેટ્રોલિંગ દ્વારા શહેરમાં અસામાજિક તત્વોને કાયદાની મર્યાદામાં રહેવાનો કડક સંદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પોલીસની સક્રિય હાજરીથી સામાન્ય નાગરિકોમાં સુરક્ષાનો ભાવ મજબૂત બન્યો હતો. પ્રભાસ પાટણ પોલીસે તમામ નાગરિકો, વેપારીઓ અને સામાજિક આગેવાનોને અપીલ કરી છે કે આગામી તહેવારો દરમિયાન શાંતિ, સૌહાર્દ અને પરસ્પર સહકાર જાળવવા પોલીસને પૂરતો સહકાર આપે. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક જાણ કરવા પણ જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 9:53 am

અમરેલીમાં ઘર આંગણે રમતા બાળકને દબોચી દીપડો ભાગ્યો:પરિવારે બુમાબુમ કરતાં જીવ બચ્યો, ગંભીરરીતે ઇજાગ્રસ્ત બાળક સારવાર હેઠળ; વન વિભાગે પાંજરા ગોઠવ્યા

અમરેલી જિલ્લામાં દીપડાના માનવ પરના હુમલાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ખાંભાના હનુમાનપુરમાં વધુ એક હુમલાની ઘટના સામે આવી છે. ગઇકાલે મોડી સાંજે ઘર આંગણે રમી રહેલા એક બે વર્ષના બાળકને લઇને દીપડો ભાગ્યો હતો. જોકે, પરિવારે બુમાબુમ કરતાં દીપડો બાળકને મૂકીને ભાગી ગયો હતો. બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. બાજરીના પાકમાંથી અચાનક દીપડો આવ્યો આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ખાંભા તાલુકાના હનુમાનપુર ગામની સીમમાં રમણીકભાઈ બોડાની વાડીમાં ભાગ્યા તરીકે રહેતા પરેશભાઈના પરિવારના સભ્યો વાડીમાં હાજર હતા ત્યારે બાજરીના પાકમાંથી અચાનક દીપડો બહાર આવ્યો હતો. તેણે ત્યાં રમી રહેલા બે વર્ષના ઈશ્વર પરમાર નામના બાળક પર ઝંપલાવી હુમલો કર્યો હતો. પરિવારે બુમાબુમ કરતાં બાળકનો જીવ બચ્યોબાળક પર હુમલો થતો જોઈ પરિવારના સભ્યોએ તરત જ ચીસો પાડી અને દોડ્યા હતા. પરિવારની આ સમયસરની હિંમત અને સતર્કતાને કારણે દીપડો બાળકને છોડીને ભાગી ગયો હતો, જેનાથી એક મોટી દુર્ઘટના ટળી હતી અને બાળકનો જીવ બચાવી શકાયો હતો. ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જઈ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તેને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ તબીબોના જણાવ્યા અનુસાર બાળકની તબિયત સ્થિર છે. વન વિભાગે દીપડાને પકડવા પાંજરા ગોઠવ્યાઘટનાની જાણ થતા જ વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વનવિભાગ દ્વારા પાંજરા ગોઠવી દીપડાને પાંજરે પૂરવા માટે અલગ-અલગ ટીમો રચી સર્ચ કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે જ ગામ અને આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે હનુમાનપુર ગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોને સાવચેત રહેવા વન વિભાગની અપીલખાંભા તુલસીશ્યામ રેન્જ વનવિભાગે ખેડૂતો અને ગ્રામજનોને રાત્રિના સમયે ખાસ સાવચેત રહેવા, બાળકોને એકલા બહાર ન મૂકવા અને કોઈ પણ વન્યપ્રાણીની શંકાસ્પદ હલચલ જણાય તો તાત્કાલિક વનવિભાગને જાણ કરવા અપીલ કરી છે. ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં સિંહ અને સિંહણની લટાર અવારનવાર જોવા મળે છે. વન્યપ્રાણીઓએ પશુઓનો શિકાર કર્યો હોય તેમજ બાળકો પર હુમલો કર્યો હોય એવી ઘટનાઓ પણ સતત સામે આવે છે. ત્યારે આવો... આવી જ કેટલીક ઘટનાઓ જોઈએ ફળિયામાં રમતી ભાણીને દબોચીને દીપડો ભાગ્યો, મામાએ દોટ મૂકીને બચાવી દસેક દિવસ અગાઉ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના નવા ઉગલા ગામે દિનેશ ગોવિંદભાઈ પરમારની 8 વર્ષીય પુત્રી જીજ્ઞાશા પોતાના ઘરના ફળિયામાં રમી રહી હતી ત્યારે અચાનક દીપડો તેને માથાના ભાગેથી પકડીને જડબામાં જકડીને ભાગી ગયો હતો. જોકે, બાળકીના મામા હિંમતભાઇએ હિંમત કરીને લાકડી લઇને દીપડાનો પીછો કર્યો હતો. પોતાની ભાણીને લઇને ભાગેલા દીપડા પાછળ દોડેલા હિંમતભાઇએ બુમાબુમ કરતા કરતા દીપડો જીજ્ઞાશાને છોડીને જંગલ તરફ ભાગી ગયો હતો. બાદમાં હિંમતભાઇએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી અને જીજ્ઞાશાને સારવાર માટે ગીરગઢડા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો… ગાયનું ટોળું પાછળ પડતા સાવજો ઊભી પૂંછડીએ ભાગ્યા: VIDEO એકાદ મહિના અગાઉ રાજુલાના મોટા અગરિયા અને કોવાયા ગામના બે વીડિયો સામે હતા. એક વીડિયોમાં ગાયોનું ટોળુ પાછળ પડતા સાવજોને શિકાર કર્યા વગર ઊભી પૂંછડીએ ભાગતા નજરે પડ્યા હતા. જ્યારે બીજા વીડિયોમાં ગલુડિયાનો શિકાર સામે હોવા છતા વનરાજ તેને પંપાળીને જવા દેતા નજરે પડ્યા હતા. બંને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો... જાફરાબાદમાં વાછરડાએ શિકારી સિંહને દોડાવ્યો દોઢ મહિના અગાઉ જાફરાબાદના સરોવડા ગામમાંથી સિંહ અને વાછરડાંની ફાઇટના સીસીટીવી સામે આવ્યા હતા, જેમાં ગામમાં શિકાર કરવા આવેલા બે સિંહોને બે વાછરડાંએ હિંમત બતાવીને ઊભી પૂંછડીએ ભગાડી દીધા હોવાનાં દૃશ્યો જોવા મળે છે. સામે આવેલા સીસીટીવીમાં જોવા મળે છે કે સરોવડા ગામમાં મધરાતે બે સિંહો શિકારની શોધમાં ભટકી રહ્યા છે. આ દરમિયાન બે વાછરડાં જોવા મળતાં એક સિંહ એક વાછરડા પાછળ દોટ મૂકે છે. આ દરમિયાન બીજો સિંહ પણ પાછળ જાય છે, જોકે બીજો સિંહ થોડે આગળ જઇને પાછો ફરે છે. બીજો સિંહ કંઇ સમજે એ પહેલાં વાછરડાએ હડી કાઢીસીસીટીવીમાં જોવા મળે છે કે પરત આવેલો સિંહ વાછરડાનો શિકાર કરે એ પહેલાં જ અહીં ઊભેલું વાછરડું એકદમ હડી મૂકીને સિંહ કંઇ સમજે એ પહેલાં જ હુમલો કરી દે છે. આ દરમિયાન ગભરાયેલો સિંહ ઊભી પૂંછડીએ ભાગે છે. આ દરમિયાન આગળ ગયેલો સિંહ પણ પોતાનો શિકાર પડતો મૂકીને ભાગી જાય છે. આમ, બંને વાછરડાં હિંમત દેખાડતાં બંને સિંહોને શિકાર કર્યા વગર જ ગામ મૂકીને ભાગવું પડે છે. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો... અમરેલીમાં સિંહણે 5 વર્ષના બાળકને ફાડી ખાધું બે મહિના અગાઉ અમરેલી જિલ્લામાં સિંહણે બાળક પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. બગસરા તાલુકાના હામાપુર ગામ નજીક રમેશ સોજીત્રાની વાડીમાં ભાગિયા તરીકે કામ કરતા પરપ્રાંતીય મજૂર પરિવારના 5 વર્ષના બાળક કનક વિનોદભાઈ ડામોરનો સિંહણે શિકાર કર્યો હતો. બાળકનો પેટનો ભાગ, હાથ-કાનને ફાડી ખાંધાબાળક વાડીમાં પાણીની કુંડી પાસે રમી રહ્યું હતું ત્યારે એક સિંહણ ત્યાં આવી પહોંચી હતી. સિંહણે બાળકને દબોચી લીધું અને તેને આશરે 70થી 80 ફૂટ દૂર તુવેરના પાકમાં ઢસડી ગઈ હતી, જ્યાં તેણે બાળકનો શિકાર કર્યો હતો, જેથી બાળકનું મોત થયું હતું. સ્થાનિક રમેશભાઈએ જણાવ્યું હતું કે અમારે ત્યાં વાડીએથી બાળકને સિંહણ ઉપાડી ગઈ હતી. બાળકના પેટનો ભાગ, એક હાથ તેમજ કાનના ભાગને ફાડી ખાધો હતો. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો... અમરેલીમાં વન્યપ્રાણીએ હુમલો કરતાં 10 ઘેટાંનાં મોત ત્રણ મહિના પહેલાં અમરેલીના વડેરા ગામમાં વન્યપ્રાણીએ પશુપાલકના વાડામાં હુમલો કરતાં 10 ઘેટાંનાં મોત થયાં હતાં, જેના કારણે માલધારી પરિવારને આશરે 1 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. હુમલા દરમિયાન બે ઘેટાંનું મારણ કરવામાં આવ્યું હતું, જ્યારે અન્ય ઘેટાં ભય અને ગભરાટને કારણે જીવ ગુમાવી બેઠાં હતાં. અહીં ક્લિક કરીને આ સમાચારને વિસ્તારથી વાંચો સાવરકુંડલાના થોરડીમાં સિંહે બાળકને ફાડી ખાધં, માત્ર ખોપરી હાથ લાગીએક વર્ષ પહેલાં સાવરકુંડલાના થોરડી અને રાજુલાની બોર્ડર વિસ્તારમાં એક 5 વર્ષના બાળકને સિંહે વાડીથી 200 મીટર દૂર ઝાડીમાં ઢસડી જઈને શિકાર બનાવ્યો હતો અને ફાડી ખાધું હતું. વન વિભાગે સિંહને ટ્રેન્ક્યુલાઈઝર દ્વારા નિષ્ક્રિય કરીને ગણતરીના કલાકમાં પાંજરે પૂરવામાં સફળતા મળી છે. અહીં ક્લિક કરીને આ સમાચારને વિસ્તારથી વાંચો સાવરકુંડલાના ખાલપર-હઠીલામાં સિંહના હુમલાથી એક વ્યક્તિનું મોતએક વર્ષ પહેલાં અમરેલીના સાવરકુંડલા તાલુકાના ખાલપર-હઠીલાના સીમ વિસ્તારમાં સિંહે હુમલો કરતાં એક વ્યક્તિનું મોત થયું હતું. ખેતરમાં ક્ષતવિક્ષત હાલતમાં લાશ મળી હતી. અહીં ક્લિક કરીને આ સમાચારને વિસ્તારથી વાંચો

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 9:39 am

ભાડાના મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:કણબીવાડમાંથી પોલીસે રેડ કરી 41 હજારથી વધુનો વિદેશી દારૂ કબ્જે કર્યો, ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી

ભાવનગર શહેરના કણબીવાડ વિસ્તારમાં પોલીસે રેડ કરતા ભાડાના મકાનમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. રેડ દરમિયાન પોલીસે 41,266ની વિદેશીદારૂની બોટલો કબ્જે કરી હતી, જ્યારે એક શખસ વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. પોલીસે રેડ કરતા મકાનમાંથી દારૂની બોટલો મળીઆ અંગે શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ, પોલીસ સ્ટેશનનો સ્ટાફ શહેરના કણબીવાળ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ધજાગરા વાડી શેરી લાખાવાડમાં બાતમી આધારે તપાસ કરતા વિશાલ બારૈયાના મકાનમાં ત્રીજા માળે સાહિલ ઉર્ફે ભૂરો અશોકભાઈ જાદવ જે છેલ્લા 6 માસથી ભાડેથી રહેતા હતા. તે સ્થળે રેડ કરતા તે મકાન બંધ મળી આવ્યું હતું. જ્યારે ગંગાજળીયા પોલીસ સ્ટેશનના સ્ટાફે પંચોની હાજરીમાં બંધ મકાનનું તાળું તોડી તપાસ કરતા બંધ મકાનમાંથી અલગ-અલગ કંપનીની 750 mlની વિદેશી દારૂની 60 બોટલો મળી કુલ 41,266નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. રેડ દરમિયાન સાહિલ ઉર્ફે ભૂરો અશોકભાઈ જાદવ હાજર મળી આવ્યો ન હતો. જેથી ગંગાજલિયા પોલીસે શખસ વિરુદ્ધ પ્રોહિબિશનની કલમ 65 (A)(E) 116-B મુજબ ગુનો નોંધ્યો હતો, જ્યારે પોલીસે સોહિલ જાદવને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 9:37 am

દાહોદના ત્રણ કોન્ટેબલે રાજસ્થાનથી દારૂની કાર ભરી:એકે પંચ ચલાવી અને બે કોન્ટેબલે અલ્ટોમાં પાયલોટિંગ કર્યું, LCBએ પીછો કરતા એક કારનો અકસ્માત; બીજી કાર ફરાર

દાહોદમાં પોલીસ કર્મચારીઓ જ વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાની ઘટના સામે આવી છે. ચાકલીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા બે હેડ કોન્ટેબલ અને એક કોન્ટેબલે રાજસ્થાનથી દારૂની કાર ભરી હતી. જોકે, ગુજરાતમાં ઘૂસતા જ દાહોદ LCBને બાતમી મળતાં LCBએ પીછો કર્યો હતો. આ દરમિયાન એક કારનો અકસ્માત સર્જાતા એનો ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. જોકે, અન્ય કારમાં પાયલોટિંગ કરતા બે કોન્ટેબલ પણ ફરાર થઇ ગયા હતા. રાજસ્થાનથી પંચ કારમાં દારૂ ભર્યોઆ ઘટના અંગે ચાકલીયા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ચાકલીયા પોલીસ મથકમાં જ ફરજ બજાવતા હેડ કોન્ટેબલ અર્જુન ઘનુભાઈ ભુરીયા, મોહન રમેશભાઇ તાવિયાડ અને કોન્ટેબલ પ્રકાશ સબુરભાઇ હઠિલાએ ગઇકાલે બપોરે રાજસ્થાનથી એક પંચ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભર્યો હતો. જે કાર મોહન તાવિયાડ ચલાવતો હતો. જ્યારે અર્જુન ભુરીયા અને પ્રકાશ હઠિલા અન્ય એક અલ્ટો કારમાં પાયલોટિંગ કરતા હતા. પોલીસને જોઈ ગાડીઓ ભગાડીઆ દરમિયાન દાહોદ LCBને આ બાતમી મળતાં LCBએ ઝાલોદ અને ચાકલીયા પોલીસ સ્ટાફ સાથે તળાવા ચોકડી નજીક વોંચ ગોઠવી હતી. આ દરમિયાન બંને કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકોએ ગાડી અટકાવવાને બદલે સ્પીડ વધારી લીમડી તરફ નાસી છૂટ્યા હતા. પોલીસે ખાનગી વાહનોમાં પીછો કરતાં દારૂ ભરેલી પંચફોર વ્હીલર ગાડી આશરે 500 મીટર દૂર ગટરમાં ઉતરી ગઈ હતી, જેનો ચાલક ફરાર થઇ ગયો હતો. જ્યારે પાયલોટિંગ કરતી અલ્ટો પણ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગઈ હતી. અકસ્માતગ્રસ્ત કાર સહિત દારૂ જપ્તપોલીસે અકસ્માતગ્રસ્ત પંચ કારમાં તપાસ કરતાં પંચમાંથી વિવિધ કંપનીની ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ તથા બિયરની 8 પેટી, 112 બોટલો અને અંદાજે 74 લીટરથી વધુ દારૂના વોશનો જથ્થો મળ્યો હતો. પોલીસે કાર સહિત કુલ 5 લાખ 66 હજાર 646 રુપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ તપાસ મુજબ દારૂ ભરેલી પંચ (GJ-35-N-8922) હેડ કોન્ટેબલ મોહન તાવિયાડની છે. જ્યારે ફરાર અલ્ટો કાર (GJ-20-CA-8956) કેન્ટેબલ પ્રકાશ સબુરભાઈ હડીયાની હોવાનું સામે આવ્યું છે. પોલીસ વિભાગની વિશ્વસનીયતા પર પ્રશ્નપ્રોહીબિશન જેવા ગંભીર ગુનામાં પોલીસ કર્મચારીઓની સીધી સંડોવણી સામે આવતાં જનતા અને પ્રશાસનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે આ કેસમાં વિભાગીય કાર્યવાહી, સસ્પેન્શન તથા ઉચ્ચસ્તરીય તપાસની માંગ તેજ બની છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 8:46 am

સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી:ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિએ યુવાનોને સ્વામીજીના વિચારો અપનાવવા આહવાન કર્યું

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે 12 જાન્યુઆરી, યુવા દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદજીની 164મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. યુનિવર્સિટીની વિવેકાનંદ ચેર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કુલપતિ ડો. હરિભાઈ કાતરીયાએ ઉપસ્થિત સૌને સ્વામીજીના વિચારો જીવનમાં ઉતારવા અને તેમનું જીવન ચરિત્ર વાંચવા આહવાન કર્યું હતું. મુખ્ય વક્તા કેપ્ટન જયદેવ જોશીએ જણાવ્યું હતું કે ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે અને સમગ્ર વિશ્વ ભારત તરફ આશાભરી નજરે જોઈ રહ્યું છે. તેમણે યુવાનોને સ્વામીજીના સંદેશ મુજબ ધ્યાન, પ્રાર્થના અને પૂજા દ્વારા સશક્ત બનવા પ્રેરણા આપી હતી, કારણ કે સશક્ત વ્યક્તિ જ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી શકે છે. ડો. જોશીએ યુવા શક્તિને સંસ્કારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે યુવાનોને મોબાઈલના અતિરેકથી દૂર રહી ગીલ્લી-દંડા, કબડ્ડી, ખો-ખો જેવી પરંપરાગત રમતો રમવા પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વિવેકાનંદ ચેરના કોર્ડીનેટર ડો. અજયભાઈ સોનીએ કર્યું હતું, જ્યારે સંચાલન વિવેકાનંદ કેન્દ્રના રાજનભાઈએ સંભાળ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. દિવસની શરૂઆતમાં શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે પણ કેપ્ટન જયદેવ જોશીનું પ્રવચન યોજાયું હતું. આ સ્થળે સ્વામી વિવેકાનંદજીના જીવન પર આધારિત ચિત્ર પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું. ડો. એમ.બી. પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનું સંચાલન ગોધરા કોમર્સ કોલેજના પ્રો. ડો. અરુણસિંહ સોલંકીએ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 8:44 am

વન વિભાગે ચાઈનીઝ દોરી વેચાણ રોકવા ચેકિંગ શરૂ કર્યું:ઉત્તરાયણ પૂર્વે પક્ષી સુરક્ષા માટે કાર્યવાહી સઘન બનાવાઈ

ઉત્તરાયણ પર્વ પૂર્વે પોરબંદર વન વિભાગે પક્ષી સુરક્ષા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. વિભાગે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને પક્ષીઓને નુકસાન પહોંચાડતી અન્ય સામગ્રીના વેચાણ તથા ઉપયોગને રોકવા માટે સઘન ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. વન વિભાગની ટીમો શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનો સહિતની જગ્યાઓએ તપાસ કરી રહી છે. આ અભિયાન વન વિભાગના 'કરુણા અભિયાન'નો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય માનવજીવન અને પક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ કોટેડ દોરી જેવી પ્રતિબંધિત સામગ્રીના વેપાર પર કાયદેસરનો પ્રતિબંધ છે. વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે ઉત્તરાયણના પર્વ દરમિયાન પક્ષીઓને કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તેની ખાસ કાળજી રાખે. જો કોઈ પણ જગ્યાએ પ્રતિબંધિત દોરીઓ કે અન્ય સામગ્રીનું વેચાણ થતું જોવા મળે, તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ નિયમોનો ભંગ કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય તે હેતુથી આ ચેકિંગ અભિયાનને વધુ સઘન બનાવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 8:25 am

ગોધરા કોમર્સ કોલેજમાં સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી:પ્રિન્સિપાલ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી

ગોધરાની સાર્વજનિક કોમર્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ, તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ સ્વામીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉજવણીના ભાગરૂપે, અધ્યાપકોએ સ્વામી વિવેકાનંદજીના જીવન અને વિચારો વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ ઉપરાંત, મારા આદર્શ: સ્વામી વિવેકાનંદ વિષય પર એક વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 8:24 am

ધુરંધર, ધાબું, ઢીલ ને રીલ...:પતંગ ચગાવવા નહીં પણ સેલ્ફી ખેંચાવવા જ ધાબે ચઢીએ છીએ, અમદાવાદી ગર્લ્સ-બોય્ઝ કેવી રીતે કરશે ઉત્તરાયણ?

હવે મકર સંક્રાંત આડે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. સૌ કોઈ પતંગ ચગાવવાની તૈયારીઓમાં લાગી ગયા છે. જો કે સમયની સાથે કાઇટ ફેસ્ટિવલના રંગ રૂપ પણ બદલાયા છે. હવે યુવાઓ માટે રીલ વિના તો ફેસ્ટિવિલ સેલિબ્રેશનની કલ્પના જ કરવી મુશ્કેલ છે. તેમાં પણ ઘણાં તો માત્ર રીલ બનાવવા જ પતંગ ચગાવતા હોય છે. આ પતંગોત્સવને લઈ દિવ્ય ભાસ્કરે અમદાવાદી યુવક-યુવતીઓને ઉત્તરાયણના સેલિબ્રેશન અંગે સવાલો કર્યા હતા. જેમાં રીલ, ઢીલ અને ધાબું અને ધુરંધર અંગે મસ્ત મજાના જવાબો મળ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 7:00 am

ધાબુ ભાડે આપો'ને 1.50 લાખ કમાવ:અમદાવાદીઓને બે દિવસની બેઠી આવક, ઉત્તરાયણ પર ટેરેસ રેન્ટ પર લેવાનો NRIમાં જબ્બર ક્રેઝ

ઉત્તરાયણને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદની ઉત્તરાયણની મજા જ કંઈક અલગ છે. તેમાં પણ પોળ વિસ્તારમાં તો ઉત્તરાયણના એક બે મહિના પહેલા જ તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી 'ટેરેસ ટુરિઝમ'નો ટ્રેન્ડ શરૂ થયો છે. આ વર્ષે પણ ખાડીયા અને રાયપુરમાં આવેલી પોળોના ધાબાઓનું બુકીંગ ફૂલ થઈ ગયું છે. NRI સહિતના લોકો દ્વારા રૂપિયા 25 હજારથી દોઢ લાખ રૂપિયા સુધીનું ભાડું ચૂકવી ધાબા ભાડા રાખવામાં આવ્યા છે. ઉત્તરાયણના તહેવાર પર છેલ્લા કેટલાક વર્ષોથી ધાબા ભાડા આપવાની સાથે અલગ અલગ પેકેજ પણ પૂરા પાડવામાં આવી રહ્યા છે. જેમાં ધાબાની સાથે પતંગરસિકો માટે બ્રેકફાસ્ટ, લંચ, ડીનર અને સાંજના સમયે ધાબા પર ડાન્સ પાર્ટીનું આયોજન કરાતું હોય છે. આ વર્ષે અમદાવાદના પોળ વિસ્તારમાં કેવી તૈયારીઓ છે તેને લઈ દિવ્ય ભાસ્કરે અહીંના સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. પોળમાં પતંગ ચગાવવાનો NRIમાં ક્રેઝઅમદાવાદ શહેરમાં પોળ વિસ્તારમાં રહેતા લોકો હાલ અન્ય વિસ્તારમાં રહેવા ગયા હોય તેઓ પણ ઉત્તરાયણ પર તો પોળ વિસ્તારમાં જ આવતા હોય છે. આ ઉપરાંત NRI પણ મોટી સંખ્યામાં અમદાવાદ આવતા હોય છે. જેઓ અમદાવાદના રાયપુર અને ખાડીયાની પોળમાં પતંગ ચગાવવાનું પસંદ કરતા હોય છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણની ઉજવણી માટે પોળ વિસ્તારમાં આવેલી ઈમારતોના ધાબા ભાડા પર રાખતા હોય છે. પોળના ધાબાનું ભાડું દસ હજારથી દોઢ લાખ સુધીઆ અંગે વાડા પોળના અજય મોદીએ જણાવ્યું હતું કે, અમે વર્ષ દરમિયાન ટેરેસ મેન્ટેન કરીએ છીએ. મ્યુનિસિપલ ટેક્સ અને લાઈટ બિલ જેવા ખર્ચ આ ટેરેસના ભાડામાંથી નીકળી જાય છે. અહીં આવતા ગેસ્ટને પતંગબાજીનો જે આનંદ મળે છે તે અદભૂત હોય છે. અમારા ટેરેસ પર આ વર્ષે પંજાબથી એક કપલ આવી રહ્યું છે, તો ઘણા NRI પણ ઉત્તરાયણ માટે અહીં આવે છે. ભાડા 10,000 થી શરૂ કરીને 1,50,000 સુધી હોય છે. ઘણા પરિવારો ફૂડ પેકેજ પણ આપે છે, જેમાં ઉંધીયું-પુરી, જલેબી, તલની ચીકી અને ભજિયા જેવી વાનગીઓનો સમાવેશ થાય છે. અન્ય સુવિધાઓમાં પીવાનું મિનરલ વોટર, બેસવા માટે ખુરશીઓ અને વડીલો કે બાળકો માટે આરામ કરવા માટે એક અલગ રૂમની સગવડ પણ આપવામાં આવે છે. તેમના જણાવ્યા મુજબ, આ ટેરેસ ટુરિઝમને કારણે માત્ર ઘરમાલિકો જ નહીં, પરંતુ આસપાસના નાના વેપારીઓને પણ મોટો ફાયદો થાય છે. નાસ્તાની દુકાનો, પતંગ-દોરીના વિક્રેતાઓ અને ગૃહ ઉદ્યોગ ચલાવતી મહિલાઓ (જેઓ બાજરીના વડા કે અન્ય નાસ્તો બનાવે છે) તેઓને પણ આ બે દિવસ દરમિયાન 2,000 થી 5,000 સુધીની વધારાની આવક થાય છે. પતંગની સાથે બ્રેક ફાસ્ટ, લંચ અને ડીનરની પણ વ્યવસ્થાપોળમાં રહેતા અને ઉત્તરાયણ પર ધાબા ભાડે આપનાર જિજ્ઞેશભાઈ રામીએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણ એટલે અમદાવાદીઓ માટે એક બહુ મોટો તહેવાર છે. 14મી અને 15 મી તારીખે અમદાવાદીઓ જેટલી મજા કરે છે એટલી કદાચ જ બીજે ક્યાંય જોવા મળતી હશે. છેલ્લા 4-5 વર્ષથી એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જે લોકો અમદાવાદની બહાર રહેવા ગયા છે અથવા જે વિદેશીઓ છે તેઓ ખાસ ઉત્તરાયણની મજા માણવા માટે અમદાવાદ આવે છે. તેઓ આખા દિવસ માટે ધાબા ભાડે રાખે છે, જેથી તેઓ પોતાના પરિવાર અને મિત્રો સાથે આ તહેવાર માણી શકે. સામાન્ય રીતે ધાબાનું ભાડું 20 થી 25 હજાર રૂપિયા જેવું હોય છે. આ ઉપરાંત જો સવારનો નાસ્તો, બપોરનું લંચ અને સાંજનો નાસ્તો (Hi-tea) પણ સામેલ હોય, તો વ્યક્તિ દીઠ 1500 થી 2000 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવે છે. સાંજે 4 થી 6:30 વાગ્યા સુધીનો જે નજારો હોય છે તે જોવા જેવો હોય છે. દિવાળીમાં પણ ન જોવા મળે તેવી અદભુત આતશબાજી અને આખું આકાશ પતંગોથી ભરાયેલું હોય છે. જૂની હવેલીઓ અને પોળના ધાબાઓ એકબીજા સાથે જોડાયેલા હોવાથી માહોલ ખૂબ જ આનંદદાયક બની જાય છે. સ્થાનિકો માટે ઉત્તરાયણનું પર્વ આવકનું સ્ત્રોત બન્યોગીતાબેન રાણાએ જણાવ્યું હતું કે, હું અને મારા હસબન્ડ અમે બંને હેન્ડીકેપ છીએ. મારી દીકરી પણ બોલતી-સાંભળતી નથી. તો અમારે ઘણો બધો ખર્ચો લાગી જાય છે. અમે પહોંચી નથી વળતા. અમે મધ્યમ ક્લાસના માણસો છીએ, એટલે પહોંચી નથી વળતા. જે ટેરેસમાં NRI આવે કે આજુબાજુના દૂરના એરિયામાંથી આવે, તો અમે એમને ટેરેસ ભાડે આપીએ છીએ. આમ પર્સન દીઠ ખાવા-પીવા સાથે 3 થી 4 હજાર હોય છે, પણ અમે હેન્ડીકેપ હોવાના કારણે જમવાનું નથી આપી શકતા. એટલે ખાલી ટેરેસ ભાડે આપીએ તો દિવસના 1000 થી 2000 રૂપિયા, સામે જેવો કસ્ટમર. પણ દિવસના 2000 ફિક્સ, ખાવા-પીવાના પેકેજ વગર. અને પેકેજ સાથે 3 થી 3.5 હજાર. મને 20 થી 30 હજારની મદદ થઈ જાય છે, અને ખાસ કરીને એ મદદ મારી બેબીને ખૂબ ઉપયોગી આવે છે. આ સમાચાર પણ વાંચોઃઆ ઉત્તરાયણે ચાર મહાનગરોમાં પવનની ગતિ કેવી રહેશે? ઉત્તરાયણનું પર્વ નજીક આવતાં જ પતંગરસિયાઓના મનમાં એક જ સવાલ હોય છે કે પતંગ ચગાવવા માટે પવન કેવો રહેશે?. આ વર્ષે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માટે પતંગરસિયાઓને ચિંતા કરવાની જરુર નથી. હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માટે પવનની ગતિ સાનુકૂળ રહેશે. જાણકારોના મતે સામાન્ય પતંગ ચગાવવા માટે પ્રતિકલાક 5 કિમીની ઝડપે ફૂંકાતા પવનની જરૂરિયાત રહે છે. ભાસ્કરે હવામાન નિષ્ણાત અંકિત પટેલ સાથે વાત કરી હતી અને ઉત્તરાયણના પર્વ પર રાજ્યનાં મહત્ત્વનાં શહેરોમાં સવારથી સાંજ સુધી પવનની ગતિ કેવી રહેશે એ જાણવાનો પ્રયાસ કર્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 6:00 am

હવે આવી ગઈ રિમોટથી ઊડતી પતંગ, VIDEO:સુરતના 4 મિત્રોએ ભેજુ લગાવી કલરફુલ પતંગ બનાવી, ચગાવવા માટે પવનની પણ જરુર નહી

સુરતના યુવા સંશોધક વિકી વખારિયા અને તેમની ટીમે ઉત્તરાયણના તહેવારમાં પક્ષીઓ અને લોકોના જીવનો અંત લાવતી જીવલેણ દોરીની સમસ્યાનો અંત લાવવા એક ક્રાંતિકારી ઇનોવેશન કર્યું છે. યુવકે એક એવી પતંગ તૈયાર કરી છે કે, જેને ઊડાડવા માટે ન તો દોરી કે ન તો પવનની જરુર પડશે. દિવસે તો ઠીક આ પતંગ રાતે પણ બટરફ્લાય બની આકાશને રંગોથી ભરી દેશે. આ પતંગ અકસ્માતો તો ઘટાડશે સાથે-સાથે પર્યાવરણનુ રક્ષણ કરવાનું પણ માધ્યમ બનશે. વિકીની ટીમે આ સુરતી પતંગ ઇન્ડોનેશિયા, સિંગાપોર અને ચીન સહિતના આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલમાં ઊડાડી વિદેશમાં પણ આપણા દેશનો ડંકો વગાડ્યો છે. ચીનમાં તો તેણે સિલ્વર પ્રાઇઝ જીત્યો હતો અને ઇન્ડોનેશિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પતંગ ઉડાડીને ટેક્નોલોજી વિશે ચર્ચા કરવાની તક મેળવી હતી. દોરી અને પવન વગર જ આકાશમાં ઊડશે આ પતંગવિક્કીએ આ પતંગના ઈનોવેશન વિશે વાત કરતા જણાવ્યું હતું કે, દર વર્ષે મકરસંક્રાંતિમાં આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે પણ તેની સાથે જોડાયેલી દોરી પક્ષીઓ અને નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થતી હોય છે. આ ગંભીર સમસ્યાનો અમે એક કાયમી અને અત્યંત આધુનિક ઉકેલ શોધ્યો છે. અમે એક એવો પતંગ તૈયાર કર્યો છે જે દોરી વગર માત્ર રિમોટ કંટ્રોલની મદદથી આકાશમાં ઉડે છે. ઘાયલ પક્ષીના સમાચાર વાંચ્યા ને આ ઈનોવેશન સૂઝ્યુંવધુમાં તેઓએ જણાવ્યું કે, એક દિવસ જ્યારે અમે મિત્રો સાથે બેઠા હતા ત્યારે સમાચારમાં વાંચ્યું કે પતંગની કાચ પાયેલી દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ થાય છે અને વાહનચાલકોના ગળા કપાવાની ઘટનાઓ બને છે. આ જાણીને અમને ખૂબ દુઃખ થયું. અમને વિચાર આવ્યો કે, શું પતંગને દોરી વગર ઉડાડી શકાય? બસ, આ એક વિચારમાંથી જ રિમોટ કંટ્રોલ પતંગની સફર શરૂ થઈ. અત્યાર સુધીમાં આવી 15 પતંગો તૈયાર કરીઅમારો હેતુ મનોરંજનની સાથે સુરક્ષાનો છે. જો આ પ્રકારના ઇનોવેટિવ પતંગોનો વ્યાપ વધશે તો ભવિષ્યમાં ઉત્તરાયણ દરમિયાન થતા અકસ્માતમાં મોટો ઘટાડો લાવી શકાશે. આજે જ્યારે આ પતંગ આકાશમાં ઉડે છે ત્યારે તે જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડે છે. આ પતંગ માત્ર આકાશમાં ઉડતું એક સાધન નથી પરંતુ, ટેકનોલોજી અને માનવીય સંવેદનાનો એક અદભૂત સંગમ છે. ચાર અલગ-અલગ ડિઝાઇનમાં આ પતંગો બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ આવી 15થી વધુ પતંગો બનાવી છે. એક પતંગ બનાવવાનો ખર્ચ 40થી 45 હજાર જેટલો થાય છે. આ સફળતા પાછળ ટીમની અથાક મહેનત રહેલી છે. વિકી વખારિયા સાથે ભાવેશ ગોસાઈ, પ્રથમ માવાપુરી અને પાર્થ લેકડિયા - આ ચાર મિત્રોની ટીમે રાત-દિવસ એક કરીને રિસર્ચ કર્યું હતું. શરૂઆતમાં પતંગને બેલેન્સ કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી, પરંતુ હાર માન્યા વગર સતત પ્રયત્નોના અંતે આજે તેઓ સફળતાપૂર્વક આ પતંગને આકાશમાં લહેરાવી રહ્યા છે. આકાશમાં લૂપ, રોલ અને ડાઇવ જેવા સ્ટંટ પણ કરી શકશે આ પતંગ સામાન્ય પતંગો કરતા સાવ અલગ છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે, તેને ઉડવા માટે પવનની જરૂર પડતી નથી. પવન હોય કે ન હોય, આ પતંગ આકાશમાં સ્થિર રહી શકે છે અને મનગમતી દિશામાં ઉડી શકે છે. આ પતંગને અત્યાધુનિક રિમોટ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. દોરીવાળા પતંગમાં મર્યાદિત હિલચાલ શક્ય છે, જ્યારે આ પતંગ દ્વારા આકાશમાં લૂપ, રોલ અને ડાઇવ જેવા જટિલ સ્ટન્ટ્સ ખૂબ જ સરળતાથી કરી શકાય છે. પતંગમાં ખાસ પ્રકારની લાઇટિંગ લગાવવામાં આવી છે, જે રાત્રિના સમયે આકાશમાં અદભૂત નજારો પેદા કરે છે. ઈન્ડોનેશિયામાં PM સાથે પણ પતંગ ઊડાડી હતીઆ ગુજરાતી યુવાનોની પ્રતિભા માત્ર ભારત પૂરતી સીમિત નથી રહી. તેમણે ઇન્ડોનેશિયા, સિંગાપોર અને ચીન જેવા દેશોમાં જઈને પોતાની કળાનું પ્રદર્શન કર્યું છે. ચીનમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં તેમને બીજી વખત સિલ્વર પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યું છે. ગર્વની વાત એ છે કે, ઇન્ડોનેશિયામાં આયોજિત પતંગ મહોત્સવ દરમિયાન તેમને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ પતંગ ઉડાડવાની અને આ ટેકનોલોજી વિશે ચર્ચા કરવાની તક મળી હતી.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 6:00 am

ગુજરાતમાં 'બુર્જ ખલીફા' ઊભું કરનારા કોણ છે?:કાપડના ધંધામાંથી રિયલ એસ્ટેટમાં ઝંપલાવ્યું, 'ભૂકંપના દિવસે આંખો સામે બિલ્ડિંગ પડી, ક્ષણમાં અત્યાર સુધીના પ્રોજેક્ટ આવી ગયા'

ગુજરાતમાં રિયલ એસ્ટેટમાં રોજે રોજ નવા નવા લક્ઝુરિયસ ફ્લેટ ને અપાર્ટમેન્ટ લૉન્ચ થઈ રહ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી ઊંચી બિલ્ડિંગ અમદાવાદમાં 161.2 મીટરની એસ.જી. હાઇવે પર બની રહી છે. આ બિલ્ડિંગ ‘નવરત્ન ગ્રૂપ’ બનાવી રહ્યું છે. છેલ્લાં 40 વર્ષમાં આ ગ્રૂપે 15થી પણ વધુ પ્રોજેક્ટ્સ બનાવ્યા છે. 'સ્કાયલાઇનર્સ' સિરીઝના આજના એપિસોડમાં આપણે વાત કરીશું ‘નવરત્ન ગ્રૂપ’ની. નવરત્ન ગ્રુપની શરૂઆત કેવી રીતે થઈ, શાહ પરિવારે પહેલાં અમદાવાદમાં બંગલા બનાવ્યા, બંગલા પાડીને મૉલ બનાવ્યો ને હવે મૉલ પાડીને ગુજરાતનું યુનિક ટાવર બનાવી રહ્યું છે. ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ ડી. શાહે પોતાની જર્ની અંગે વાત કરી હતી. 'ફેમિલી બિઝનેસ કાપડનો'વાતની શરૂઆત કરતાં પ્રણવભાઈએ કહ્યું, 'મૂળ તો અમારો ફેમિલી બિઝનેસ કાપડનો હતો. મારા પપ્પા દિનેશભાઈના મોટા ભાઈ દેવેન્દ્રભાઈ સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે. તેઓ માસ્ટરનું ભણીને અમેરિકાથી ભારત આવ્યા હતા. તે સમયે તેમને રિયલ એસ્ટેટમાં તક મળી અને તેઓ ત્રણેય ભાઈઓ એટલે મારા પપ્પા દિનેશભાઈ, તેમના મોટાભાઈ દેવેન્દ્રભાઈ તથા નાના ભાઈ જીતેન્દ્રભાઈએ સાથે મળીને 1975માં પહેલો પ્રોજેક્ટ ‘શાલીમાર’ કર્યો હતો. ત્યાંથી રિયલ એસ્ટેટના ધંધાની શરૂઆત થઈ.' નવરત્ન નામ કેવી રીતે પડ્યું?નવરત્ન નામ અંગેની ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી અંગે પ્રણવભાઈએ જણાવ્યું, 'આ નામ પાછળ પણ એક સુંદર સ્ટોરી જોડાયેલી છે. મારા દાદાનો કાપડનો ધંધો હતો. તેઓ દરેક મિલમાંથી નવી નવી પ્રિન્ટ આપીને કપડું લાવતા. તેઓ દરેક પ્રિન્ટને પોતાની રીતે નામ આપતા. આવી જ એક પ્રિન્ટનું નામ ‘નવરત્ન’ હતું. આ પ્રિન્ટ ખાસ્સી ચાલી અને સારો એવો બિઝનેસ કર્યો હતો. મારા દાદાને લાગ્યું કે આ નવરત્ન તો આપણને સદી ગયું છે ને આપણા માટે સારું છે. તો બસ એના જ આધારે નવરત્ન નામ રાખવામાં આવ્યું.' 'શરૂઆતમાં કોન્ટ્રાક્ટિંગનું જ કામ કરતા'વાતને આગળ વધારતાં પ્રણવભાઈ કહે છે, 'પપ્પા મોસ્ટલી કોન્ટ્રાક્ટિંગનું જ કામ કરતા, એટલે તેમાં તો મોટાભાગે બીજા ડેવલર માટે જ કામ કરવાનું હોય. જ્યારે તમે બીજા ડેવલપર સાથે કામ કરો ત્યારે ખાસ સર્વાઇવલની ચેલેન્જિસ બહુ ઓછી આવતી હોય છે. તેમણે આ દરમિયાન એકાદ-બે પ્રોજેક્ટ્સ અશોકવાડી અપાર્ટમેન્ટ તથા ગુલમોહર બંગલો બનાવ્યા. આ બધી જગ્યાએ પપ્પાએ જાતે પ્રોજેક્ટ કર્યા હતા અને મને વિશ્વાસ છે કે પપ્પાને ત્યારે ચોક્કસથી મુશ્કેલીઓ આવી જ હશે. અલબત્ત, ધંધામાં તો અપ્સ ને ડાઉન આવતા રહે. તમે કેવી રીતે સામનો કરો છે તે વાત મહત્ત્વની છે.' 'પોતાના માટે કંઈક કરવાની ઈચ્છા હતી'પોતાની સફર રિયલ એસ્ટેટમાં કેવી રીતે શરૂ થઈ તે અંગે પ્રણવભાઈ જણાવે છે, 'હું મોટો ને સમજણો થયો ત્યારથી મેં પપ્પાને રિયલ એસ્ટેટ બિઝનેસમાં જ જોયા છે. આ જ કારણે મને પણ રિયલ એસ્ટેટમાં જ રસ હતો. એ વાત પણ એટલી જ સાચી છે કે પહેલેથી મારા મનમાં નક્કી હતું કે અમે ધંધો કરીશું તો પોતાના માટે જ કરીશું એટલે કે અમે કોન્ટ્રાક્ટિંગનું કામ નહીં કરીએ. અમને ડેવલપર સાઇડમાં વધારે રસ હતો. પછી તો મેં સાયન્સ લીધું ને 12 સાયન્સ પછી બે વર્ષ નડિયાદની ધરમસિંહ દેસાઇ કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. ત્યારબાદ અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગમાં ટ્રાન્સફર લઈને બાકીનાં બે વર્ષ પૂરાં કર્યાં. એજ્યુકેશન પૂરું કર્યા બાદ મેં ને મારા ભાઈએ ‘નવરત્ન ઓર્ગેનાઇઝેશન પ્રાઇવેટ લિમિટેડ’ 1992-93માં શરૂ કર્યું. 1993માં અમે પહેલો પ્રોજેક્ટ કૈવલ્ય અમદાવાદના પ્રીતમનગર અખાડા આગળ બ્રાહ્મણ મિત્ર મંડળ સોસાયટીમાં લોન્ચ કર્યો. પ્રોજેક્ટ શરૂ કર્યો ત્યારે સૌથી મોટી ચેલેન્જ એ હતી કે પૈસા ક્યાંથી આવશે. કારણ કે નવું સ્ટાર્ટ કર્યું હતું. પપ્પા પાસેથી પૈસા લઈને બધું કરવું યોગ્ય નહોતું એટલે જાતે જ બધું મેનેજ કરીને આ પ્રોજેક્ટ કરવાનો હતો. ભગવાનની દયાથી પહેલા જ પ્રોજેક્ટમાં એટલો સારો રિસ્પોન્સ મળ્યો કે ત્યાંથી શરૂઆત કરીને આજ દિન સુધી પાછળ ફરીને જોવું પડ્યું નથી.' 'બિઝનેસનો મોટો'પ્રણવભાઈને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ બિઝનેસમાં કયા મોટો (ધ્યેયસૂત્ર)થી કામ કરે છે તો તેમણે જવાબ આપ્યો, 'અમારા માટે ક્વૉલિટી ફર્સ્ટ છે. અમે વધુ પડતી વાતો કરવાને બદલે કામ કરીને આપવામાં માનીએ છીએ. સૌથી મહત્ત્વનું પારદર્શિતા છે. આ ત્રણ બાબતોને કારણે જ આટલાં વર્ષોથી સર્વાઇવ થયા અને ભવિષ્યમાં પણ આ જ ત્રણ બાબત પર કામ કરીશું.' 'ગુજરાતનું પહેલું મિકસ યુઝ ટાવર અમદાવાદમાં'નવરત્ન ગ્રૂપ 161.2 મીટર જેટલી ઊંચી બિલ્ડિંગ અમદાવાદમાં બનાવી રહ્યું છે. ગુજરાત-અમદાવાદમાં અત્યાર સુધીની આ સૌથી ઊંચું ટાવર બનશે. આ અંગે વાત કરતાં પ્રણવભાઈએ જણાવ્યું, 'સેટેલાઇટ વિસ્તારમાં પપ્પાએ ગુલમોહર બંગલો બાંધ્યા હતા. આ બધા જ બંગલા અમે 2006માં પાછા ખરીદ્યા. તે બંગલા પાડીને અમે ગુલમોહર પાર્ક મોલ બનાવ્યો. અમે આ મૉલ કિશોર બિયાણીના વેન્ચર ‘ક્ષિતિજ’ સાથે પાર્ટનરશિપમાં બનાવ્યો હતો. 2013માં ક્ષિતિજ વેન્ચરે આ પાર્ટનરશિપમાંથી એક્ઝિટ લીધી. અમે 2013થી લઈને 2023 સુધી એટલે કે 10 વર્ષ સુધી મૉલ ચલાવ્યો. અમારું નક્કી હતું કે ત્યાં અમે અમદાવાદમાં આઇકોનિક બને તેવું કંઈક બનાવીશું. સમય જતાં મોલ પાડીને અમદાવાદનું આજની તારીખે ટોલેસ્ટ બિલ્ડિંગ 161.2 મીટરની ઊંચાઈનું બનાવીએ છીએ. અમદાવાદનો આ પહેલો ફર્સ્ટ મિક્સ યુઝ પ્રોજેક્ટ ઇન સિંગલ ટાવર લૉન્ચ કરી રહ્યા છીએ. એટલે કે આ એક જ ટાવરમાં રિટેલ, ઑફિસ તથા રેસિડેન્શિયલ એમ ત્રણ-ત્રણ બાબતો જોવા મળશે. વિદેશમાં આ પ્રકારની બિલ્ડિંગ સામાન્ય છે, પરંતુ અમદાવાદમાં પહેલી જ વાર આ પ્રકારનું ટાવર બની રહ્યું છે.' 'ભૂકંપથી ડરવાની જરૂર નથી'અમદાવાદમાં આટલું ઊંચું ટાવર બને ત્યારે સ્વાભાવિક રીતે જ આગ ને ભૂકંપનો ડર લાગે તે સ્વાભાવિક છે. પ્રણવભાઈએ આ ડર અંગે વાત કરતાં કહ્યું, ગુજરાતમાં આવેલા ભૂકંપ બાદ રિયલ એસ્ટેટના નિયમો બદલાઈ ગયા છે. બિલ્ડિંગ્સ જે રીતે બની રહી છે તે ભૂકંપ રેઝિટન્ટ સ્ટ્રક્ચર સાથે બની રહી છે, આ જ કારણે હવે કોઈએ ગભરાવાની જરૂર નથી. બિલ્ડિંગ હલે એટલે ડર લાગે, પણ હવે નવી બિલ્ડિંગ અર્થ ક્વેક રેઝિટન્સવાળી જ હોય છે.' 'અમારા ટાવરના દરેક ઘરમાં રેફ્યૂજ બાલ્કની' 'આ ઉપરાંત ફાયરમાં પણ એડવાન્સ ફાયર સેફ્ટીની સુવિધા હોય છે. અમારી વાત કરું તો, અમે દરેક ફ્લોર પર રેફ્યૂજ બાલ્કની આપી છે. રેફ્યુજ ફ્લોર પણ આપ્યો છે. આ ફ્લોર નિયમ પ્રમાણે દરેક હાઇરાઇઝ બિલ્ડિંગમાં હોય જ છે. અમે ફાયર સેફ્ટીની તમામ તકેદારી રાખી છે. રેસ્ક્યૂમાં ક્યારેય કોઈ તકલીફ ઊભી ના થાય તે વાતનું પૂરતું ધ્યાન અમારા ટાવરમાં રાખવામાં આવ્યું છે.. રેફ્યૂજ બાલ્કની એટલે એવી જગ્યા જ્યાં બહારથી ફાયર કે પછી રેસ્ક્યૂ ટીમ આવી શકે ને તે સરળતાથી ટેન્ડર કે સીડી મૂકી શકે. આમ તો આ બાલ્કની જેવી જ છે, પરંતુ તે એ રીતે ડિઝાઇન ને લોકેટ કરવામાં આવી છે, જેથી ફાયર ફાઇટિંગનાં સાધનો કે રેસ્ક્યૂ માટે સરળતાથી ઉપયોગમાં આવે. અમે દરેક ફ્લોર પર આ રીતની બાલ્કની આપી છે. આ ફરજિયાત નથી, પરંતુ અમે આપી છે. રેફ્યૂજ ફ્લોર ફરજિયાત હોય છે. અમારા ટાવરમાં આ ફ્લોર 16મા માળે છે. તે બિલ્ડિંગના કયા ફ્લોર પર હોય તે નક્કી હોતું નથી. બિલ્ડર પોતાની રીતે ફ્લોર રાખતો હોય છે. અમારી એક સ્કીમમાં રેફ્યૂજ ફ્લોર નવમા માળે હતો, એકમાં 11મા માળે હતો. આ એવો ફ્લોર, જ્યાં બધા ભેગા થાય અને રેસ્ક્યૂ સરળતાથી થઈ શકે.' વધુમાં તેમણે સૌથી ઊંચા ટાવરની માહિતી આપતાં કહ્યું, 'ગુલમોહર મૉલમાં કર્મશિયલ ફ્લોરનું નામ ગુલમોહર પાર્ક છે અને રેસિડેન્શિયલ પાર્ટમાં અમદાવાદના સૌથી મોટામાં મોટા અપાર્ટમેન્ટ બની રહ્યા છે અને તેનું નામ ‘કલ્હાર સ્કાય રેસિડન્સ’ રાખ્યું છે.' 'રોડને આધારે બિલ્ડિંગની હાઇટ નક્કી થાય'પ્રણવભાઈને પૂછવામાં આવ્યું કે બિલ્ડિંગની હાઇટ કેવી રીતે નક્કી થાય, તો તેમણે જણાવ્યું, 'રોડ કેટલા ફૂટનો છે તેના આધારે બિલ્ડિંગની હાઇટ નક્કી થાય. અમારો પ્લોટ 10 હજાર પ્લસ વારનો છે અને અમારી આજુબાજુ મોટાભાગે લૉ-રાઇઝ બિલ્ડિંગ છે. આ જગ્યા આઇકોનિક બિલ્ડિંગ માટે બેસ્ટ છે. આ ટાવરમાં દરેક ફ્લોરની હાઇટ 4 મીટરની છે અને કેટલાક ફ્લોર ચાર મીટરથી પણ ઊંચા છે. ગ્રાઉન્ડ ને ફર્સ્ટ ફ્લોરમાં રિટેલ શોપ, સેકન્ડથી 15 ફ્લોર સુધી ઑફિસ અને 17થી 38 સુધી રેસિડેન્શિયલ છે. અમે તો બેર શેલ ઘર જ આપતા હોઈએ છીએ, કારણ કે દરેક ક્લાયન્ટની પોતાની રિક્વાયરમેન્ટ અલગ હોય છે. બેર શેલ એટલે ખોખું તૈયાર કરીને અમે પઝેશન આપીએ અને આમ પણ અમે ગમે તે કરીને આપીએ, ખરીદનાર એમના ઇન્ટિરિયર સાથે આવે ત્યારે તેઓ પોતાની રીતે તોડફોડ કરીને ફેરફાર કરતા હોય છે. અમે માનીએ છીએ કે આ તો ખોટો ખર્ચો જ છે. આ એક ક્રિમિનલ વેસ્ટ ઓફ મની છે અને આવું કરવું જોઈએ નહીં..' 'બંગલો ખરીદવો મોંઘો બન્યો'અમદાવાદના રિયલ એસ્ટેટ અંગે વાત કરતાં પ્રણવભાઈએ જણાવ્યું, 'અમદાવાદનું રિયલ એસ્ટેટ ઘણું જ ઝડપથી વિકાસ પામ્યું ને અત્યારે મેચ્યોર થઈ ગયું છે. પહેલાં ને અત્યારના રિયલ એસ્ટેટમાં ઘણા ફેરફાર જોયા છે. નવી જનરેશન આ બિઝનેસમાં આવી છે. જ્યારે નવી જનરેશન બિઝનેસમાં આવે ત્યારે તેમનાં ડ્રીમ્સ ને આઇડિયા જોવા મળે. અન્ય રાજ્યોમાં અમદાવાદ ઘણું જ લોકપ્રિય બન્યું છે. પહેલાં આ જોવા મળતું નહોતું. અમદાવાદને એ લોકો સેકન્ડ ગ્રેડ ગણતા. હવે તેઓ અમદાવાદને ઘણું ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ મેટ્રો તરીકે જુએ છે. આ જ કારણે અમદાવાદને ખાસ્સો ફાયદો થયો છે. પહેલાં અમદાવાદીઓની મેન્ટાલિટી બંગલો તો જોઈએ એવી હતી, પરંતુ હવે જે રીતે જમીનના ભાવ વધે છે તે જોતાં બંગલો ખરીદવાની શક્તિ ઘટતી જાય છે. એની સામે અમદાવાદમાં લક્ઝરી અપાર્ટમેન્ટ એટલા સુંદર બની રહ્યા છે કે લોકોને બંગલાની ખોટ પણ સાલતી નથી. આ જ કારણે અમદાવાદમાં હાઇ એન્ડ અપાર્ટમેન્ટનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે..' 'લક્ઝરી અપાર્ટમેન્ટનો ક્રેઝ વધ્યો'લક્ઝરી અપાર્ટમેન્ટ એટલે જ્યાં બધી જ સવલતો મળે. કોઈકના માટે અપાર્ટમેન્ટની સાઇઝ લક્ઝરી છે, કોઈના માટે હાઇટ તો કોઈના માટે ફ્લોરિંગ તો ફેસિલિટી.... એમ અમદાવાદીઓનાં મનમાં લક્ઝરી અંગે વિવિધ કોન્સેપ્ટ છે. આ બધું જ્યાં હોય તે લક્ઝુરિયસ ઘર કહેવાય અથવા તો જે-તે પ્રોજેક્ટ લક્ઝરી કેટેગરીમાં આવે. હવે મારુતિની કોઈ કાર 5 લાખમાં આવે તો મર્સિડિઝ પાંચ કરોડમાં આવે છે. એ જ રીતે આજકાલ અમદાવાદીઓ બાથરૂમથી લઈ કિચન મોં માગ્યા ભાવે સજાવી રહ્યા છે. આ બધામાં બ્રાન્ડેડની સુપર કેટેગરી યુઝ કરવામાં આવે એટલે તમને તે વધારે જ મોંઘું લાગે..' 'આપણી સિવિક સેન્સ સુધરશે તો દુનિયાના કોઈ પણ શહેરને ટક્કર મારી શકીશું'પ્રણવભાઈ માને છે, .'અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ રમાશે અને તેને કારણે અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું જ સુધરશે. એ વાત પણ એટલી જ સાચી છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે ડેવલપ થાય ત્યારે બધી જગ્યાએ જમીનના ભાવ વધતા હોય છે. રિયલ એસ્ટેટમાં તેજી આવતી હોય છે. હું સ્પષ્ટપણે માનું છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ ધ કી. ઇન્ફ્રાસ્ટ્રકચરની દૃષ્ટિએ અમદાવાદ બીજાં શહેરો કરતાં સૌથી બેસ્ટ છે. આમ તો મારે ના કહેવું જોઈએ, પણ આપણી સિવિક સેન્સ ઘણી જ ખરાબ છે અને જો આપણામાં તે આવી જાય તો આપણે મુંબઈ-બેંગલુરુ છોડો, દુનિયાનાં કોઈ પણ દેશનાં સિટીને ટક્કર મારીશું.' અમદાવાદમાં ક્યાં સૌથી વધારે ભાવ?અમદાવાદમાં કયા વિસ્તારમાં ભાવ વધારે તે અંગે પ્રણવભાઈ સમજાવતાં કહે છે, 'જમીનના ભાવની વાત કરું તો સેટેલાઇટથી આગળ આંબલી-બોપલ, ત્યારબાદ એસ.જી. રોડથી એસ.પી. રિંગ રોડ વચ્ચેના વિસ્તારના ભાવ અત્યારે સૌથી વધારે છે. અપાર્ટમેન્ટની વાત કરું તો તે કોનો પ્રોજેક્ટ છે તેના પર આધાર રાખે છે. ઘણીવાર એક જ એરિયામાં બાજુ-બાજુમાં આવેલી બે બિલ્ડિંગના ભાવમાં ઘણો મોટો તફાવત હોય છે. સામાન્ય રીતે જ્યાં જમીનના ભાવ વધારે હોય ત્યાં એપાર્ટમેન્ટ મોંઘા જ મળે. એરિયા પ્રમાણે કહું તો, એસ.જી. રોડથી એસ.પી. રોડની વચ્ચે આંબલી- બોપલ રોડ, રાજપથ-રંગોલી રોડ છે, સિંધુ ભવન રોડ, એનાથી આગળ જાવ તો સોલા, સાયન્સ સિટી રોડ પર બનતા અપાર્ટમેન્ટ મોંઘા જ હોય છે.' 'શહેરની વચ્ચે અફોર્ડેબલ હાઉસિંગ બનાવવા અઘરાં છે'અમદાવાદમાં એક-બે બેડરૂમના ફ્લેટ ઓછા બને છે કે નહીં તે અંગે વાત કરતાં પ્રણવભાઈએ જણાવ્યું, 'એક-બે બેડરૂમના અપાર્ટમેન્ટ સાઇઝને ધ્યાનમાં રાખીને બનાવવાના હોય છે. હું જે જમીન પર ચાર-પાંચ બેડરૂમના ફ્લેટ બનાવું છું, ત્યાં જો મારે એક-બે બેડરૂમના ફ્લેટ બનાવવાના હોય તો તે મોંઘા પડે. જમીન મોંઘા ભાવે લીધી હોય છે તો તે મોંઘા જ બને, પરંતુ એક-બે બેડરૂમનાં ઘર ખરીદનારની પેઇંગ કેપેસિટી પણ એટલી ના હોય. આ વર્ગ જે કિંમતે ખરીદવા માગે છે તેટલી કિંમત ડેવલરને પોસાય નહીં. આપણે શહેરની વચ્ચે અફોર્ડેબલ હાઉસિંગ બનાવવા માગીએ તો તે થોડું ડાઉટફુલ લાગે છે. કારણ કે જે ખરીદવર્ગ છે તેની એટલા રૂપિયા આપવાની કેપેસિટી નથી. હું ચાર-પાંચ બેડરૂમના બનાવીશ એટલે તે તરત જ વેચાઈ જશે. આ ચિકન-એગ જેવી પરિસ્થિતિ છે.' 'રિયલ એસ્ટેટમાં ક્યારે રોકાણ કરવું બેસ્ટ રહેશે'રિયલ એસ્ટેટમાં રોકાણ કે ખરીદી કરવી હોય તો તમે જ્યારે તૈયાર છો તે જ સૌથી સારો સમય એવું હું માનું છું. ઘણીવાર આપણે તૈયાર નથી હોતા તો પણ આપણે કરવું જોઈએ. આ જ કારણે આ ઇન્ડસ્ટ્રીને 'રિયલ' એસ્ટેટ કહેવામાં આવે છે. સ્ટોક માર્કેટ, ગોલ્ડ-સિલ્વરમાં ચઢાવ-ઉતાર આવે છે. જો તમે પ્લાનિંગ સાથે રિયલ એસ્ટેટમાં આવો તો તેમાં ભાવ વધતા હોય છે. જમીન સાથે જોડાયેલ કોઈ પણ ચીજ-વસ્તુના ભાવ વધતા જ હોય છે. એટલે તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો જમીન રિલેટેડ કોઈ પણ પ્રોડક્ટ શોધવી. એના માટે ભલે તમારે અમદાવાદથી થોડે દૂર પણ કેમ ના જવું પડે.’ 'ક્વૉલિટી માટે ડેવલપરના ભૂતકાળના પ્રોજેક્ટ્સ જોવા'પ્રણવભાઈ સમજાવે છે, સામાન્ય રીતે હવેના કાયદા તથા રેરાને કારણે કોઈ પણ ડેવલપરને ખોટું કરવામાં રસ નથી. તેમ છતાંય જ્યારે તમે ઘર-ઑફિસ ખરીદવા જાવ ત્યારે સારા ટ્રેક રેકોર્ડ ધરાવતા બિલ્ડર્સ, ભૂતકાળમાં સારી ને કહ્યા પ્રમાણેની ડિલિવરી આપી હોય એવા ડેવલપરને શોર્ટ લિસ્ટ કરવા. આ ઉપરાંત જ્યારે પણ ઘર ખરીદવું હોય તો સૌ પહેલાં એ નક્કી કરો કે કયા એરિયામાં લેવું છે, કયો ડેવલપર એમિનિટિઝથી માંડીને દરેક વસ્તુ શું ઑફર કરી રહ્યો છે તેના પર ધ્યાન આપી શકો છો. ક્વૉલિટી ચેક કરવા ડેવલપરના ભૂતકાળના પ્રોજેક્ટ પર ખાસ ધ્યાન આપો. હવે દરેકે ક્વૉલિટી તો આપવી જ પડશે. જો કોઈ ક્વૉલિટી સાથે સમાધાન કરશે તો લોકો તેના ત્યાં જવાનું જ બંધ કરી દેશે. સાચું કહું તો કોઈને એવું હોતું નથી કે ખરાબ કામ કરીને આપવું છે. એને તો આગળ ધંધો કરવાનો છે એટલે કોઈ ખરાબ કરતું નથી.' 'ભૂકંપના દિવસે નજર સામે દરેક પ્રોજેક્ટ આવી ગયા'ભૂકંપની વાતને યાદ કરતાં પ્રણવભાઈ કહે છે, 'ગુજરાતમાં આવેલા ભૂકંપે આખી રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને હલબલાવી નાખી હતી. એ દિવસે સવારનો સમય હતો એટલે હું મારા ઘરે જ હતો. એટલું કહી શકું કે સેકન્ડના પા ભાગમાં મારી આંખ સામે મારા દરેકે દરેક પ્રોજેક્ટ આવીને જતા રહ્યા હતા. મેં મારી નજર સમક્ષ બિલ્ડિંગને પડતા પણ જોઈ હતી. ભૂકંપના અડધા કલાક બાદ જ ગાડી લઈને અમે દરેકે દરેક પ્રોજેક્ટ ફર્યા અને ચેક કર્યું કે કંઈ થયું નથી ને? ભગવાનની દયાથી નાના ડેમેજથી વધારે ગંભીર નુકસાન થયું નહોતું.' 'મુશ્કેલ સમય આવે ને જાય, મક્કમતા જરૂરી''આ ઉપરાંત 1987માં મંદી આવી અને તે 2001-02 સુધી ચાલી હતી. આ સમય કાઢવો ઘણો જ મુશ્કેલ હતો. એક બાજુ મકાનો વેચાય નહીં ને બીજી બાજુ મકાનો બનાવતા હોઈએ તે પૂરાં કરવાના હોય. એ ઘણો જ મોટો પડકાર હતો. રિયલ એસ્ટેટમાં તમારે તમારો ગોલ ફિક્સ રાખીને સસ્ટેન થવા માટે જે કંઈ કરવાની જરૂર પડે તે બધું જ કરવાનું હોય છે. બસ ધ્યાન એટલું રાખવાનું કે ભાગી જવાનું નથી. નાસીપાસ થઈને હારી જવાનું નથી. બસ સમય કાઢવાનો છે. આ દરમિયાન દરેક વ્યક્તિ એકબીજાને સમજતા હોય છે અને એકબીજાને સપોર્ટ કરતા હોય છે. એમને ખ્યાલ છે કે તમને સપોર્ટ કરશે તો તે સર્વાઇવ થશે. એ સમયે બસ એ ધ્યાન રાખવાનું કે એવું કોઈ પગલું ના ભરો કે તમને મુશ્કેલી ઊભી થાય અને તમારા કારણે બીજાને મુશ્કેલી ઊભી થાય. એ સમય કાઢવો સૌથી અગત્યનો છે અને એ સમય સાચે જ અઘરો હોય છે. તમારે એટલી તો મક્કમતા રાખવી જ પડે ને પોતાને મોટીવેટ કરતા રહેવું પડે કે હું કોઈ પણ હિસાબે સર્વાઇવ થઈ શકીશ. 2008ની મંદીની અસર આપણા દેશમાં બહુ જોવા મળી નહોતી. લેહમેન બ્રધર્સનો જે ઇશ્યૂ હતો તેની અસર આખી દુનિયામાં થઈ, પરંતુ ભારતમાં સૌથી ઓછી અસર થઈ. કોરોના પણ જીવનભર યાદ રહેનારી ઘટના છે. કોરોનાને કારણે લોકોનો માઇન્ડ સેટ બદલાયો. કોરોના પછીનો સમય રિયલ એસ્ટેટ માટે ઘણો જ સારો રહ્યો. લોકોની માનસિકતા ને સ્પેન્ડિંગ પાવર બદલાયો. લોકો એમ માને છે કે આપણી પાસે પૈસા હોય તો સારી રીતે જીવન જીવવું જોઈએ. એ કારણે રિયલ એસ્ટેટમાં ખાસ્સી એવી ડિમાન્ડ પણ નીકળી.' 'હાથ જોડીને બેસી રહેવા કરતાં પ્રયાસો કરવામાં માનું છું'પ્રણવભાઈ કહે છે, 'ભગવાનની દયાથી હતાશા સાથે ક્યારેય જીવ્યો નથી. મારો એ પ્રકારનો માઇન્ડસેટ જ નથી. અમે એક જ વાતમાં માનીએ કે જે વસ્તુ હાથમાં લીધી તે ગમે તેમ કરીને પૂરી તો કરવાની જ. અમારો પોતાનો મોટો છે કે હતાશ થઈને બેસી રહેવાથી કોઈ ફાયદો નથી અને તેને કારણે કોઈ પરિણામ તો આવવાનું નથી. હતાશામાં હાથ જોડીને બેસી રહેવું એને બદલે શક્ય તેટલા પ્રયાસો કરવા વધુ સારું.' પ્રણવભાઈ માને છે, ‘અમારી થર્ડ જનરેશન નવરત્નમાં જોડાશે એમ મને લાગે છે, પણ જોઈએ કે ભવિષ્યમાં શું થાય છે. અત્યારે તો બાળકો ભણી રહ્યાં છે ને અમે ક્યારેય બાળકોને ફોર્સ કર્યો નથી કે તમારે આ સંભાળવાનું છે. તેમને ગમશે તો આ બિઝનેસમાં જોડાશે અને તેમ થશે તો અમને ગમશે.’ 'કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધંધો કરી શકે, બસ મહેનત જરૂરી છે'છેલ્લે પ્રણવભાઈ આજની જનરેશનને સલાહ આપતાં કહે છે, 'કોઈ પણ માણસ કોઈ પણ ધંધો કરી શકે છે. તેને પોતાને શું કરવું છે તેની ક્લેરિટી હોવી જરૂરી છે અને તેની પાછળ કેટલી મહેનત કરી શકે તે વાત એટલી જ મહત્ત્વની છે, આ ઉપરાંત જે-તે બિઝનેસમાં કેટલું સસ્ટેન કરી શકે તે જોવું જરૂરી છે. સાચું કહું તો રિયલ એસ્ટેટના બિઝનેસમાં સસ્ટેનેબિલિટી ક્રાઇટેરિયા સૌથી વધુ મહત્ત્વનો છે. આ ફિલ્ડમાં સારો ને ખરાબ બંને સમય જોવાના આવશે. ખરાબ સમયમાં ટકી ગયા તો સારા સમયમાં તો ટકી જ જશો તે નક્કી છે. સૌથી વધારે તમારી ધગશ, જુસ્સો ને કંઈ પણ થાય આ તો હું કરીને જ રહીશ તે પ્રકારનો એટિટ્યૂડ વધારે જરૂરી છે.' ('સ્કાયલાઇનર્સ'માં આવતીકાલે ત્રીજા એપિસોડમાં જાણીશું નાનકડી દુકાનથી બીનોરી સુધીની સફર ખેડનારા રાજેશ શર્માની કહાની…)

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 6:00 am

નેતાઓનું બગાસા પ્રકરણ:પાટીલની બાજુમાં ચાલુ પ્રેસમાં સાંસદને ઝોકા આવ્યા, ઈસુદાન ગઢવી સ્પીચ સમયે બગાસા ખાતા દેખાયા, જુઓ VIDEO

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 6:00 am

વન વિભાગ એક્શન મોડમાં:વન વિભાગ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓના વેચાણ સામે સર્ચ ઓપરેશન

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે તેમજ પક્ષીઓને બચાવવા માટે જનજાગૃતિ લાવવા 20 જાન્યુઆરી સુધી કરૂણા અભિયાનનું આયોજન વન વિભાગ, વિવિધ એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભચાઉ, નખત્રાણા તથા અંજાર રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓના વેચાણ સામે સર્ચ ઓપરેશન ચલાવી ઝુંબેશથી કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભચાઉ, નખત્રાણા અને અંજાર રેન્જના કાર્ય વિસ્તારમાં શહેર કે ગામના પતંગ અને દોરાના વેપારીઓની દુકાનની મુલાકાત લઈ, ચાઇનીઝ તેમજ પક્ષીઓને નુકશાન પહોંચે તેવી તુક્કલ દોરીનું વેચાણ ન થાય તેની ચકાસણીની કરાઇ હતી. ભચાઉ રેન્જના ક્ષેત્રીય સ્ટાફ અને ભચાઉ વિસ્તરણ રેન્જના સ્ટાફ દ્વારા શહેરમાં સંયુક્ત રેલી યોજી ચકાસણી કરવામાં આવી હતી. પતંગ અને દોરાના વેપારીઓને પક્ષીઓને નુકસાન થાય તેવો સામાન ન રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે વન વિભાગ દ્વારા ભચાઉ આજુબાજુના વિસ્તારમાં સમય સવારના 9 કલાક પહેલા અને સાંજના 5 કલાક બાદ પતંગ ન ચગાવવા સૂચનો કરવામાં આવ્યા હતાં. તા.10/01થી 20/01 દરમિયાન ભચાઉ રેન્જ કચેરી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસે જિલ્લામાં ચાઇનીઝ દોરી પકડીપોલીસે ઉતરાયણના ભાગરૂપે પ્રતિબંધિત ચાઇનીઝ ચોરી ન વેચાય તેના માટે કમર કસી છે. કચ્છમાં અનેક સ્થળોએ પોલીસે ચાઇનીઝ દોરી પકડી ગુનો પણ નોંધવામાં આવ્યો છે. જોકે વન વિભાગે હાલ કોઇ સ્થળે ચાઇનીઝ દોરી પકડી હોય તેવી વિગતો જારી કરી નથી !

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:55 am

શરીર મર્યાદિત પણ મન નહીં:ટેકનોલોજીના યુગમાં સનાતન ગુરુ ચેટબોટ બનાવનાર દ્રષ્ટિબાધિત બાળકની અંધકારથી સર્જન સુધીની સફર

એક બાળક જે ભૌતિક રીતે દ્રષ્ટિહીન હતો પરંતુ આંતરિક રીતે દિવ્ય દ્રષ્ટિથી જાગૃત હતો. અંજારના ધ્યાન ટાંકે આ ઝડપી અને ટેકનોલોજીના યુગમાં સામાન્ય લોકો સનાતન ધર્મને વધુ સમજી શકે અને લોકોના મનમાં ઉઠતાં પ્રશ્નોના નિવારણ હેતુથી એક સનાતન ગુરુ નામનું ચેટબોટ બનાવ્યું, જે વ્હોટ્સએપ પર ઉપલબ્ધ છે. સનાતન ગુરુ નામક ચેટબોટમાં કોઈ પણ વ્યક્તિ સરળતાથી સનાતન સંસ્કૃતિ વિષયક પ્રશ્નો પૂછીને ઉત્તર મેળવી શકે છે. દિવ્ય દ્રષ્ટિને બાહ્ય જગતમાં પ્રકાશિત અને વધુ ઉજાગર કરવા માટે સહાયક સ્ત્રોતની શોધમાં તેને નવચેતન અંધજન મંડળ માધાપરનું માર્ગદર્શન પ્રાપ્ત થયું. 2010માં જન્મેલા ધ્યાનનું જીવન 10 વર્ષ સુધી સહજતાથી ચાલતું હતું પરંતુ 2019ની એક સવારે શાળાએ જવા માટે તે ઘરમાં ઠાકોરજીને વંદન કરતાં હાથ જોડીને આંખો બંધ કરીને ત્યારે જ અચાનક તેની દ્રષ્ટિ શૂન્ય થવા લાગી. ચિંતિત માતા-પિતા તેને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા. ઓપરેશન બાદ દ્રષ્ટિ પાછી તો આવી પરંતુ પરમાત્માની યોજના કંઈક અલગ જ હતી. એક વર્ષ બાદ, તેની દ્રષ્ટિ ફરી ચાલી ગઈ. બે વર્ષ સુધી તેણે સામાન્ય અભ્યાસ ચાલુ રાખ્યો બાદમાં 2023માં નવચેતનમાં આવ્યા બાદ કેવલ આધ્યાત્મિક જગતમાં જ નહીં પરંતુ સ્પોર્ટ્સ, સંગીત, સાહિત્ય, સામાજિક અને માનસિક દરેક રીતે તેનો વિકાસ થયો. ધ્યાન હાલમાં ધોરણ 11માં અભ્યાસ કરી રહ્યો છે. મેદાનમાં ચાલવામાં પણ ડર લાગતો હતો પરંતુ શિક્ષકની મહેનત અને પરમાત્માની કૃપાથી તે જ મેદાનમાં હવે દોડવા લાગ્યો છે. તે અહીંના ફૂટબોલ તરફ વળ્યો. તેણે બે વખત નેશનલ ફૂટબોલ અને એક વખત પેરા એથ્લેટિક્સમાં નેશનલ કક્ષાએ ભાગ લીધો છે. ઉપરાંત ગોલબોલમાં પણ નેશનલ રમ્યો છે. સંગીતને તે પરમાત્માની પ્રાપ્તિનું સાધન માને છે. અહીં તેને ઓડિયો સ્વરૂપે દરેક પુસ્તક, ગ્રંથ અને સાહિત્યો ઉપલબ્ધ થયા. જેથી તેનામાં નવા વિચારો અને શક્તિનો સંચાર થયો. નવચેતન અંધજન મંડળમાં આવીને ધ્યાન પોતાની અંતરવાણીને બહાર પ્રગટ કરી શક્યો છે. ધ્યાનની આ ગાથા દ્વારા સાબિત થાય છે કે જ્યારે જીવનમાં એક દ્વાર બંધ થાય છે, ત્યારે પરમાત્મા અનેક દ્વાર ખોલી દે છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:52 am

પતિ દ્વારા પત્નીની નિર્મમ હત્યા:ભદ્રેશ્વરમાં કામધંધા બાબતે પતિએ આધેડ પત્નીને છરીના 7 ઘા મારી હત્યા નીપજાવી

મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વરમાં પતિએ જ પોતાની પત્નીને છરીના ઘા મારી હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવી છે. અડધી રાતે ચા બનાવવા માટે જગાડ્યા બાદ કામધંધા બાબતે રકઝક થતા આરોપી પતિએ સુઈ રહેલા સંતાનોના રૂમનો દવાજો બહારથી બંધ કરી દીધો હતો અને છરીના સાત ઘા મારી 53 વર્ષીય પત્નીને મોતનેઘાટ ઉતારી દીધી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મુન્દ્રા મરીન પોલીસ મથકે ફરિયાદી અલ્ફાના અભુ ગોધાએ આરોપી પિતા અભુ મામદ ગોધા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ રવિવારે રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદી સહીતના પરિવારજનો રાત્રે જમ્યા બાદ સુઈ ગયા હતા. ત્યારે આરોપી પિતાએ ફરિયાદીના 53 વર્ષીય માતા હવાબાઈ ગોધાને ચા બનાવવા માટે જગાડ્યા હતા. એ દરમિયાન આરોપીએ પત્ની સાથે કામધંધા બાબતે બોલાચાલી કરી હતી. જેથી ઉશ્કેરાયેલા આરોપીએ છરીથી પોતાની પત્નીને પેટ, કાન અને ગાળાના ભાગે સાત જેટલા ઘા માર્યા હતા. બનાવ બાદ આરોપી સ્થળ પરથી પલાયન થઇ ગયો હતો. ફરિયાદીની ઈજાગ્રસ્ત માતાને સર્વર માટે 108 મારફતે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. હત્યાના બનાવને પગલે મુન્દ્રા મરીન પોલીસ મથકની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. ફરાર થયેલા આરોપીને એલસીબીએ ભદ્રેશ્વર ગામના રાવરી તળાવ પાસે બાવળની ઝાડીઓમાંથી પકડી પાડ્યો હતો. નોંધનીય છે કે ચાલુ વર્ષે જાન્યુઆરી પ્રથમ માસમાં જ હત્યાના બે બનાવ બની ગયા છે. આ બંને બનાવ મુન્દ્રા તાલુકામાં બનતા પોલીસમાં દોડધામ ફેલાઈ છે. આરોપીને અડધી રાતે ચા પીવાની ટેવસમગ્ર મામલે મુન્દ્રા મરીન પોલીસ મથકના પીઆઈ પી.કે.રાડા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,આરોપીને દરરોજ રાત્રે ચા પીવાની ટેવ હતી. જેથી રવિવારે રાત્રે પણ તેણે પોતાની પત્નીને બાર વાગ્યાના અરસામાં ચા બનાવવા માટે જગાડી હતી. આરોપી અગાઉ વડાલા ગામે આવેલી નીલકંઠ કંપનીમાં ટ્રેક્ટર ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. પરંતુ છેલ્લા એક વર્ષથી આરોપી કોઈ કામકાજ કરતો ન હતો. ચાલુ વર્ષે જાન્યુઆરી પ્રથમ માસમાં જ હત્યાના બે બનાવ બની ગયા છે. આ બંને બનાવ મુન્દ્રા તાલુકામાં બનતા પોલીસમાં દોડધામ ફેલાઈ છે. સંતાને અડધી રાતે બારીમાંથી નરી આંખે પિતાની ક્રુરતા જોઈફરિયાદી અલ્ફાના, તેની બહેન મુસ્કાન અને દાદી રહીમાબાઈ મકાનની બાજુમાં આવેલા ડેલામાં સુતા હતા અને મકાનમાં આરોપી પિતા સાથે ભાઈ અને માતા સુઈ રહ્યા હતા. રાત્રે અચાનક માતાની ચીસો સાંભળી ફરિયાદી જાગી ગયા હતા અને ડેલાનો દરવાજો ખોલવા જતા બહારથી બંધ કરેલો હતો. જેથી બારી ખોલીને જોયું ત્યારે આરોપી પિતા ફરિયાદીની માતાને છરીના ઘા મારી રહ્યા હતા. જે બાદ આરોપી મોબાઈલ અને છરી સાથે દીવાલ કુદીને ભાગી ગયા હતા. ત્યારબાદ કાકાને ફોન કરતા ઘરનો દરવાજો બહારથી ખોલ્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:45 am

ગમખ્વાર અકસ્માત સર્જાયો:પધ્ધર નજીક ડમ્પરે બાઈકને હડફેટે લેતા પતિનું ઘટના સ્થળે કરૂણ મોત, પત્નીને ગંભીર ઇજાઓ

ભુજથી બચાઉ જતા હાઈવેનું કામ ચાલુ છે જેના કારણે રસ્તો સાંકડો અને ટ્રાફિકની પણ સમસ્યા રહે છે. તેવામાં બીકેટી કંપની નજીક પત્ની સાથે બાઈક પર ખરીદી કરવા માટે જતા સમયે ડમ્પરના ચાલકે પાછળથી ટક્કર મારતા મુળ સંતરામપુરના 28 વર્ષીય યુવાનનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ કાળીતલાવડી ગામની વાડી પર રહેતા ફરિયાદી શિલ્પાબેન અજયકુમાર બીલવાળે પદ્ધર પોલીસ મથકે આરોપી ડમ્પર નંબર જીજે 12 સીટી 8837 ના ચાલક વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 11 જાન્યુઆરીના બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદી તેમના 28 વર્ષીય પતિ અજયકુમાર લલ્લુભાઈ ઉર્ફે લાલુભાઈ બીલવાળ સાથે બાઈક નંબર જીજે 17 બીકયું 3245 વાળી પર બીકેટી નજીક રવિવારે ભરાતી બજારમાં ખરીદી કરવા માટે જઈ રહ્યા હતા. એ દરમિયાન બીકેટી કંપનીના ગેટ નંબર 4 સામે આરોપી ડમ્પરના ચાલકે બેફામ હંકારી બાઈકને પાછળથી ટક્કર મારી હતી. જેમાં ફરિયાદીને નાની મોટી ઈજાઓ સહીત પગના ભાગે ફેકચર થયું હતું. જ્યારે ફરિયાદીના પતિને ગંભીર ઈજાઓ પહોચતા તાત્કાલિક સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે પદ્ધર પોલીસે આરોપી ડમ્પરના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાસ્કર ઈનસાઈટઆડેધડ રસ્તાનું કામ અને બેફામ ચાલતા ભારે વાહનોહાલમાં ભુજથી ભચાઉ જતા હાઈવે માર્ગનું કામ ચાલી રહ્યું છે. જેમાં રસ્તાની બન્ને તરફ ખોદકામ તો ક્યાંક વચ્ચ્ચેની સાઈડે ખોદકામ કરી દેવામાં આવ્યું છે અને સાંકળા માર્ગ પરથી પસાર થવું પડે છે. એમાં પણ મસમોટા ખાડાઓ પડેલા છે જે પુરવામાં આવ્યા નથી. આ ઉપરાંત નવો બનેલો રસ્તો પૂરો થાય ત્યાં પણ કોઈ આડસ મુકવામાં આવ્યો નથી અને માર્ગ પર પથરાયેલા કાંકરા વાહન ચાલકો માટે અકસ્માત નોતરે તેમ છે. આ માર્ગ પર ભારે વાહનોની સતત અવરજવર રહે છે. જે બેફામ વાહન હંકારતા હોવાથી કાર અને બાઈક ચાલકો માટે રસ્તા પર ચાલવું મુશ્કેલ છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:37 am

કચ્છમાં વધ્યું ઠંડીનું જોર:અચાનક આવેલા ઠંડા પવનોના સુસવાટાથી સંક્રાંત પર અસરની ભીતિ

ગુજરાતમાં ઉત્તર દિશાથી ફૂંકાતા બરફીલા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું મોજું છવાઈ ગયું છે. ખાસ કરીને સરહદી જિલ્લો કચ્છ હાલ હાડ થીજાવતી ઠંડીનો સામનો કરી રહ્યો છે. રવિવારે કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન ગગડીને માત્ર 3.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ચાલુ શિયાળાની સિઝનનું અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન છે. આવી પરિસ્થિતિ વચ્ચે આવતીકાલે ઉત્તરાયણ પર્વ ઉજવાવાનો છે, જેમાં પવનનું વિશેષ મહત્વ હોય છે. પરંતુ હાલની ઠંડી અને તીવ્ર ઠંડા પવનને જોતા ભુજ સહિત કચ્છના અનેક વિસ્તારોમાં અગાસીઓ પર કેટલા લોકો લાંબો સમય માણી શકશે તે જોવાનું રહેશે. જો ઠંડી અને પવનની તીવ્રતા યથાવત્ રહેશે તો પતંગ ચગાવનારા લોકો માટે એકાદ-બે કલાકથી વધુ સમય અગાસી પર રોકાવું મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને વધુ સાવચેતી રાખવાની જરૂર પડશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24થી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે હજુ પણ ઠંડા પવનો ફૂંકાવાની સંભાવના છે, જેના પરિણામે લઘુત્તમ તાપમાનમાં આંશિક વધઘટ નોંધાઈ શકે છે. હવામાનની આ અસર સીધી રીતે ઉત્તરાયણના ઉત્સવ પર પડશે તેમ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:36 am

મેડિકલ મિરેકલ:જઠર - અન્નનળી દૂર કરી મોઢાનું સીધું આંતરડા સાથે જોડાણ કરી જીવ બચાવાયો

જી.કે. જનરલ હોસ્પિટલમાં એસિડ પી ગયેલા યુવાનના સખત રીતે દાઝેલા જઠરને દૂર કર્યા બાદ બળેલી અન્નનળીને નિષ્ક્રિય કરી મોઢાને આંતરડા સાથે સીધું જોડાણ આપી ત્રિસ્તરીય ઓપરેશન કરાયું. જનરલ સર્જરી, ENT અને એનેસ્થેટિક વિભાગે કરેલા આ ઓપરેશનથી આજે તે જઠર અને અન્નનળી વિના પણ ખાઈ પી શકે છે. ઓન્કોલોજીસ્ટ અને આસિ.પ્રોફે. ડો.હેત સોની, ચીફ મેડિ.સુપ્રિ.અને કાન,નાક અને ગળાના સિનિ.સર્જન ડો.નરેન્દ્ર હિરાણી તેમજ રાજકોટના ગેસ્ટ્રો સર્જન ડો.રાજન જાગડેએ આ મુશ્કેલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી હતી. 23 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણસર એસિડ પી લેતા પાચનતંત્રના મુખ્ય અંગ જઠર અને અન્નનળી સંપૂર્ણ બળી ગયા હતા. દાઝેલા બંને અવયવો પૈકી જઠરને દૂર કરાયું.બીજી તરફ અન્નનળી પણ બળી ગઈ હોવાથી તેને નિષ્ક્રિય કરી દેવામાં આવી. દર્દીને બચાવવા તેને ખોરાક લેતો કરવો જરૂરી હતો. જેથી ખોરાકના પાચન માટે મોટા આંતરડાના વચ્ચેના ભાગને કાપી એ કાપેલા હિસ્સાને આંતરડાના પ્રવેશદ્વારથી લઈ સીધું મોઢાના પાછળના ભાગ સાથે જોડી દઈ અન્નમાર્ગ તૈયાર કરાયો.પરિણામે યુવાન પ્રારંભમાં જ્યુસ અને હવે નિરાંતે ખોરાક લઈ શકે છે. સંભવતઃ કચ્છમાં આ પ્રકારનું જટિલ પ્રથમ ઓપરેશનએસિડને કારણે ગળામાં સ્વરપેટી દાઝી ગઈ હોવાથી તેને પણ ENT સર્જનને દૂર કરી દીધી અને ગળામાં છેદ કરી શ્વાસ લઈ શકે એ માટે ટ્રેકિયોસ્ટોમી કરાઇ અને યુવાન સંપૂર્ણપણે ખોરાક અને શ્વાસ લઈ શકે છે. શસ્ત્રક્રિયામાં ડો.તીર્થ પટેલ,ડો.કિશન મીરાણી અને ડો.કુલદીપ જાદવે સહયોગ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:35 am

સિટી એન્કર:ઘઉંના ધાનની ગુણવત્તા જાણવા માટે રેપિડ ટેસ્ટ કરવાની પધ્ધતિની શોધને 20 વર્ષ માટે કેન્દ્ર સરકારે પેટન્ટ આપી

કચ્છ યુનિવર્સિટી દ્વારા ઘઉંની ક્વોલિટી જાણવાની રેપિડ ટેસ્ટ પધ્ધતિની કરાયેલી શોધને પેટન્ટ મળી છે.ભારત સરકારની પેટેન્ટ ઓફિસ દ્વારા પેટેન્ટ એક્ટ 1970 હેઠળ 20 વર્ષ માટે કચ્છ યુનિ.ને ઘઉંની ક્વોલિટી જાણવાની રેપિડ ટેસ્ટ કરવાની પધ્ધતિ માટે પેટેન્ટ અપાઈ છે. આવનારા દિવસોમાં આ પેટન્ટનુ કોમર્શિયલ લાયસેન્સિંગ કરવાનું કામ કરવામાં આવશે. ભારત વિશ્વનું બીજા નંબરનું ઘઉંનું ઉત્પાદન કરતો દેશ છે. જેમાં વર્ષ 2023-24માં 113.3 - 117.9 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, બિહાર, રાજસ્થાન અને ગુજરાતમાં મોટા પાયે ઘઉંની ખેતી થાય છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તારીખ 2-6-2021ના ઘઉંની ક્વોલોટી જાણવા રાષ્ટ્રીય કક્ષાની હરીફાઈ બહાર પાડવામાં આવી હતી.જેમાં ભાગ લેનારા લોકોએ ઘઉંની ક્વોલોટી જાણવા માટેની એક્યુરેટ અને ઝડપી પદ્ધતિ વિકસાવવાની હતી. કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગના એસો.પ્રોફેસર ડો. વિજય રામ તેમજ એનાલિટિકલ કેમેસ્ટ્રિમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કૌશિકી બેનરજી અને જય જોશીએ હરીફાઈમાં ભાગ લીધો.જેમાં અલગ અલગ રાઉન્ડ પછી છેલ્લા રાઉન્ડ માટે તેઓને દિલ્હી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની લેબમાં બોલાવાયા અને એક્સપર્ટની હાજરીમાં પ્રયોગો કર્યા જે સફળ રહ્યા હતા. ડો.વિજય રામ અને ડો ગિરીન બક્ષીના માર્ગદર્શનમાં પેટેન્ટ ફાઇલિંગની પ્રક્રિયા કરાઈ હતી. જેમાં જોવામાં આવ્યું કે, આ તદ્દન નવી પદ્ધતિ છે. જેથી અલગ અલગ રાઉન્ડના અંતે 12 જાન્યુઆરી 2026ના પેટન્ટ ઓફિસ દ્વારા 20 વર્ષ માટે કચ્છ યુનિવર્સિટીને ઘઉંની ક્વોલિટી જાણવાની રેપિડ ટેસ્ટ કરવાની પધ્ધતિ માટે પેટેન્ટ અપાઈ છે. યુનિવર્સિટીનું નામ રોશન કરતા કુલપતિ ડો. મોહન પટેલ અને રજિસ્ટ્રાર ડો. અનિલ ગોર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ગોડાઉનમાં રહેલા પાકની ગુણવતા જાળવવી જરૂરીફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા દેશભરમાં 2500 ગોડાઉન સ્થાપવામાં આવ્યા છે જ્યાં ઘઉં, ચોખા વગેરે રાખવામાં આવે છે અને જરૂર અનુસાર લોકોને આપવામાં આવે છે. આ ગોડાઉનમાં રહેલા પાકની ક્વોલોટી સારી છે કે નહિ તે જાણવું જરૂરી છે. જેથી લોકોના સ્વાસ્થ્યને કોઈ ખરાબ અસર ના થાય.આ માટે આ સંશોધન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:34 am

‘ચક દે ચીકી’ અભિયાન:‘ચક દે ચીકી’ અભિયાન થકી 750 કિલોથી વધુ ચીકીનું વિતરણ કરાયું

ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે પોષણ માસની ઉજવણી કરાઈ હતી. જેમાં સંસ્થાના સંચાલક ઋત્વિક પુરોહિત દ્વારા ‘ચક દે ચીકી’ અભિયાન હેઠળ 750 કિલોથી પણ વધુ ચીકીનું વિતરણ કરાયું હતું. ઋત્વિક પુરોહિતે જણાવ્યું હતું કે, સંસ્થા શહેરમાં પોષણ જાગૃતિ માટે નવીન પહેલો કરવાનું પોતાનું ધ્યેય બનાવી ચૂક્યું છે. પોષણની ઊણપ બાળકોમાં એક ગંભીર સમસ્યા બની રહી છે. કુપોષણથી બાળકોના શારીરિક તેમજ માનસિક વિકાસ પર અસર પડે છે. સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો થતાં હોવા છતાં હજી પણ અનેક પરિવારોમાં પૌષ્ટિક આહાર સરળતાથી ઉપલબ્ધ નથી. આ પૃષ્ઠભૂમિમાં ‘ચક દે ચીકી’ જેવી પહેલો સમાજમાં પોષણ વિશે જાગૃતિ વધારવામાં તેમજ જરૂરિયાતમંદોને સીધી સહાય પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:03 am

50 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરાઈ:મનરેગામાં બદલાવથી ગ્રામ સભા અને પંચાયતોના અધિકાર છીનવાયા: કોંગ્રેસ

મનરેગા યોજનામાં સરકારે કરેલા બદલાવ સામે કોંગ્રેસે રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કર્યું છે. શહેરના મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે ધરણા યોજી કોંગ્રેસના કાર્યકરોએ સરકારની નીતિ સામે વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસે સરકારે કરેલા બદલાવણા કારણે ગ્રામસભા અને પંચાયતોના અધિકારો છીનવી લેવાયા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. બીજી તરફ પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા 50 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગાના નામ અને તેની નીતિઓમાં કેન્દ્ર સરકાર કરેલા બદલાવ સામે કોંગ્રેસ રાષ્ટ્રવ્યાપી આંદોલન કરી રહ્યું છે. જે અંતર્ગત શહેરના ગાંધી નગરગૃહ ખાતે કોંગ્રેસે પ્લે કાર્ડ સાથે વિરોધ દર્શાવ્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, ગ્રામિણોને રોજગાર આપતા આ કાયદામાં સરકારે મનમાની કરી, ફંડમાં ભારે કપાત કરી છે. નવી જોગવાઈઓ મુજબ ગ્રામસભા અને પંચાયતોના અધિકારો છીનવી લેવાયાના હોવાના આક્ષેપ હતા.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:01 am

મારામારી:ચોખંડી ખાતે સેફ્ટી બેલ્ટના વિતરણ સમયે 2 વાહનની ટક્કરથી મારામારી

શહેર કોંગ્રેસ દ્વારા શહેરના ચોખંડી વિસ્તારમાં સેફટી બેલ્ટના વિતરણનો કાર્યક્રમ સોમવારે સવારે યોજવામાં આવ્યો હતો. ટ્રાફિકથી ધસમસતા રોડ પર બે વાહન ચાલકો વચ્ચે ટક્કર થઇ હતી જેના પગલે કાર્યક્રમની વચ્ચે બંને વાહન ચાલકો સામ સામે આવી ગયા હતા અને ઝપાઝપી થઇ હતી. ઉત્તરાયણના તહેવારોને લઇને કોંગ્રેસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચાલકોને સેફટી બેલ્ટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે ચોખંડી વિસ્તારમાં ટ્રાફીક વધારે હતો તે સમયે વાહન ચાલકોને રોકીને સેફટી બેલ્ટ વિતરણ કરવામાં આવી રહ્યા હતા. દરમિયાન બે વાહન વચ્ચે નજીવી ટક્કર થઇ હતી. જેથી બંને વાહનના ચાલકો સામ સામે આવી ગયા હતા. વાહનની ટક્કરના કારણે ઝપાઝપી કરતાં વાહન ચાલકોને કોંગ્રેસના કાર્યકરોએ અટકાવ્યા હતા. ટ્રાફિક મેનજમેન્ટના અભાવના કારણે ઘટના બની હતી. ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો અટવાઇ ગયા હતા. નજીવી બાબતે સવારના સમયે કામ ધંધે જતા લોકો ટ્રાફિક જામમાં ફસાયા હતા. સતત 15 મિનિટ સુધી ડ્રામા ચાલ્યો હતો. જેના કારણે વાહનોની લાંબી કતારો પડી ગઇ હતી. કોંગ્રેસના કાર્યકરોએ ટ્રાફીકને હટાવવાની કામગીરી પણ કરી હતી. કોંગ્રેસ દ્વારા 5 હજાર જેટલા સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વિવિધ સંસ્થાઓ દ્વારા પતંગની દોરીથી વાહનચાલકોને બચાવવા સેફટી બેલ્ટનું વિતરણ કરાય છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:00 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ટ્રમ્પે કહ્યું, હવે હું વેનેઝુએલાનો કાર્યકારી રાષ્ટ્રપતિ, ઇસરોનું સર્વેલન્સ સેટેલાઇટ સ્પેસમાં ગુમ; ભારત-જર્મની વચ્ચે વિઝામુક્ત મુસાફરી

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સંબંધિત રહ્યા. તેમણે પોતાને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ જાહેર કર્યા. બીજા સમાચાર સર્વેલન્સ સેટેલાઇટ લઈને ગયેલા ઇસરો રોકેટના ગાયબ થવાના હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચના SIR કરવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. 2. સુપ્રીમ કોર્ટ રખડતા કૂતરાઓના મુદ્દા પર સુનાવણી કરશે. કાલના મોટા સમાચારો 1. અમેરિકાએ કહ્યું, ભારતથી વધુ કોઈ દેશ મહત્ત્વનો નહીં:કાલે બંને દેશ ટ્રેડ ડીલ વિશે વાત કરશે, ટ્રમ્પના ભારત આવવાનાં પણ અમેરિકન રાજદૂતે એંધાણ આપ્યાં ભારતમાં અમેરિકાના નવા રાજદૂત સર્જિયો ગોરે સોમવારે પદભાર સંભાળી લીધો છે. પોતાના પહેલા સંબોધનની શરૂઆત ગોરે ‘નમસ્તે’ સાથે કરી અને કહ્યું હતું કે ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે અહીં હોવું તેમના માટે ગર્વની વાત છે. ગોરે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચેની મિત્રતાને સાચી ગણાવી. તેમણે કહ્યું હતું કે સાચા મિત્રો અસહમત થઈ શકે છે, પરંતુ અંતે હંમેશાં પોતાના મતભેદોને ઉકેલી લે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. ISROનું PSLV-C62 રોકેટ રસ્તો ભટક્યું, મિશન ફેલ:ઈસરોએ કહ્યું, મિશનના ત્રીજા સ્ટેજમાં ટેક્નિકલ ખામી સર્જાઈ; અન્વેષા સહિત 15 સેટેલાઇટ લઈને ગયું હતું ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)નો વર્ષનો પ્રથમ સેટેલાઈટ મિશન ફેલ થયો છે. સોમવારે સવારે 10:18 વાગ્યે આંધ્રપ્રદેશના હરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C62 રોકેટે અન્વેષા સહિત 15 સેટેલાઈટ લઈને ઉડાન ભરી હતી. ઈસરોના જણાવ્યા મુજબ, મિશનના ત્રીજા સ્ટેજમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે સેટેલાઈટ તેના નિર્ધારિત ઓર્બિટમાં સ્થાપિત થઈ શક્યો નહીં અને એ રસ્તો ભટકી ગયો હતો. ISROના વડા ડૉ. વી. નારાયણને એક નિવેદન જાહેરી કરીને કહ્યું, “ત્રીજા સ્ટેજમાં સમસ્યા આવી અને રોકેટની દિશા બદલાઈ ગઈ. સંપૂર્ણ સમાચાર વાંચો 3. ચાંદીના ભાવમાં આજે રેકોર્ડ બ્રેક વધારો:એક જ દિવસમાં રૂ.14,000નો વધારો, સોનાનો ભાવ પણ વધી રૂ.1.40 લાખે પહોંચ્યો; જાણો હજી કેટલા ભાવ વધી શકે સોના-ચાંદીના ભાવ આજે (12 જાન્યુઆરી) ઓલ ટાઈમ હાઈ પર છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 2,883 રૂપિયા વધીને 1,40,005 રૂપિયા પર પહોંચી ગયો છે. ગઈકાલે એ 1,37,122 રૂપિયા/10g પર હતો. આ પહેલાં 29 ડિસેમ્બર 2025ના રોજ સોનાની કિંમત 1,38,161 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઓલ ટાઈમ હાઈ પર હતી. જ્યારે એક કિલો ચાંદીની કિંમત 14,475 રૂપિયા વધીને 2,57,283 રૂપિયા પર આવી ગઈ છે. ગઈકાલે એની કિંમત 2,42,808 રૂપિયા પ્રતિ કિલો હતી. આ પહેલાં 7 જાન્યુઆરીના રોજ ચાંદીની કિંમત 2,48,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ઓલ ટાઈમ હાઈ પર હતી. 4. વેનેઝુએલા પર કબજા પછી ટ્રમ્પનો વધુ એક ધડાકો:પોતાને કાર્યકારી રાષ્ટ્રપતિ જાહેર કર્યા, સો.મીડિયા પર પોસ્ટ શેર કરી, જાન્યુઆરીથી પદ સંભાળવાનો ઉલ્લેખ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ગણાવ્યા છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરી છે. તેમાં ટ્રમ્પની તસવીર સાથે 'એક્ટિંગ પ્રેસિડેન્ટ ઓફ વેનેઝુએલા' લખેલું છે. પોસ્ટમાં જાન્યુઆરી 2026થી પદ સંભાળવાનો ઉલ્લેખ છે. આ ઉપરાંત, ટ્રમ્પે પોતાને અમેરિકાના 45માં અને 47માં રાષ્ટ્રપતિ તરીકે પણ દર્શાવ્યા છે. આ પોસ્ટને લઈને વ્હાઇટ હાઉસ કે અમેરિકી પ્રશાસન તરફથી કોઈ ઔપચારિક નિવેદન સામે આવ્યું નથી. સંપૂર્ણ સમાચાર વાંચો 5. પહેલી પત્ની ઓસ્ટ્રેલિયન, બીજી બનશે આઈરિશ:શિખર ધવને છૂટાછેડાના 3 વર્ષ બાદ ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી; સોફી શાઇન અમેરિકન કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર શિખર ધવને સોમવારે ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે સગાઈની જાહેરાત કરી. ધવને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને આ માહિતી આપી. બંને છેલ્લા કેટલાક સમયથી રિલેશનશિપમાં હતા અને મે 2025માં પોતાના સંબંધોને સાર્વજનિક કર્યા હતા. ગયા વર્ષે ધવન અને સોફીને દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી મેચ દરમિયાન સાથે જોવામાં આવ્યા હતા. આ ઉપરાંત, બંને એક મીડિયા કોન્ક્લેવમાં પણ જોવા મળ્યા હતા, જ્યાં ધવને ઇશારામાં ફરીથી પ્રેમ મળવાની વાત કહી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 6. અરિહાની આવવાની આશા જાગી, મોદીએ જર્મન ચાન્સેલર સામે મુદ્દો ઉઠાવ્યો:પતંગ મહોત્સવમાં મોદીએ ફિરકી પકડી ને મર્ઝે પતંગ ચગાવ્યો; બંને દેશ વચ્ચે વિઝામુક્ત મુસાફરી PM મોદીના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. આજે (12 જાન્યુઆરી) સવારે 9 વાગ્યે PM મોદીએ જર્મન ચાન્સેલર સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલરનું સ્વાગત કર્યું હતું. અહીં બંને નેતાએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયકુંજની મુલાકાત પણ લીધી હતી. અહીંથી બંને નેતા પતંગ મહોત્સવમાં પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવી મોદી-ફ્રેડરિક મર્ઝે ખુલ્લી જીપમાં પતંગ મહોત્સવ નિહાળી ભારત-જર્મનીની ફ્રેન્ડશિપનો પતંગ ચગાવ્યો હતો. અહીં તેમણે રિવરફ્રન્ટ પણ જોયો હતો. બાદમાં બંને નેતા ગાંધીનગર મહાત્મા મંદિર જવા નીકળ્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો 7. સુરતમાં 57 વર્ષના આધેડનું 6 વર્ષની માસૂમ પર દુષ્કર્મ:દાદા પૌત્રને ઘરે મુકવા ગયા ને આધેડે પોતાની જ દુકાનમાં બાળકીને શિકાર બનાવી, આરોપીની ધરપકડ સુરતમાં દિન પ્રતિદિન બળાત્કાર, છેડતી, હત્યા, હત્યાની કોશિશ જેવા ગંભીર બનાવો વધી રહ્યા છે, ત્યારે સરથાણા વિસ્તારમાં વિકૃત માનસિકતાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 57 વર્ષના આધેડે માત્ર છ વર્ષની માસૂમ પર બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે. બનાવને પગલે આખરે માસૂમે સઘળી હકીકત પરિવારજનોને જણાવતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા આધેડ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. પૌત્ર-પૌત્રીને રમાડવા દાદા ઘરની નીચે લઈ ગયા સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ તા. 11 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 7 વાગ્યાના અસરામાં પોતાની પૌત્રી અને પૌત્રને ઘરની નીચે રમાડવા માટે લઈ ગયા હતા. આ દરમિયાન માસૂમ પૌત્ર રડવા લાગ્યો હતો જેથી તેના દાદા તેને ઘરે મૂકવા માટે જતા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ રાયસીના હિલ્સ પાસે નવી PM ઓફિસ તૈયાર:અહીં નવું આવાસ પણ બની રહ્યું છે; મોદી આ મહિને શિફ્ટ થઈ શકે છે, બે મુહૂર્ત જોવામાં આવ્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. વિદેશઃ ચીને જમ્મુ-કાશ્મીરની શક્સગામ ઘાટીને પોતાની ગણાવી:કહ્યું- પાકિસ્તાન સુધી રસ્તો પોતાના વિસ્તારમાં બનાવી રહ્યા છે, ભારતે તેને ગેરકાયદેસર કબજો ગણાવ્યો હતો (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ શારીરિક સંબંધ બાંધવાની ના પાડી તો યુવતીની હત્યા:બેંગલુરુમાં 18 વર્ષના યુવકે સોફ્ટવેર એન્જિનિયરને મોતને ઘાટ ઉતારી, પાડોશી જ આરોપી નીકળ્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. વિદેશઃ એક-બે કે 100 નહીં અમારી પાસે હજારો સુસાઈડ બોમ્બર તૈયાર:જૈશ-એ-મોહમ્મદ ચીફની ખુલ્લી ધમકી, આતંકી મસૂદ અઝહરની નવી ઓડિયો ક્લિપ વાઇરલ (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. મોંઘવારીઃ શાકભાજી-દાળના ભાવ વધવાથી ડિસેમ્બરમાં મોંઘવારી વધી:3 મહિનામાં સૌથી વધુ, 1.33% પર પહોંચી, નવેમ્બરમાં 0.71% હતી (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. ભવિષ્યઃ 2026માં ગુરુના બેવડા ગોચરનો પ્રભાવ:મિથુન, કર્ક, સિંહ અને ધન સહિત 8 રાશિ નસીબદાર રહેશે, જાણો તમારી આર્થિક સ્થિતિ કેવી રીતે બદલાશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. ક્રિકેટઃ ICCએ કહ્યું– બાંગ્લાદેશને ભારતમાં જ T20 વર્લ્ડકપ રમવો પડશે:લોકેશન બદલવાની માગણી ફગાવી; કહ્યું– અમે તપાસ કરી, ભારતમાં કોઈ ખતરો નથી (સંપૂર્ણ સમાચાર વાંચો) ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ પોતે ખોદેલી કબરમાં જ વૃદ્ધને દફનાવવામાં આવ્યા:મોત પહેલા પત્નીની કબરની બાજુમાં બનાવી હતી પોતાની કબર, 80 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા તેલંગાણાના લક્ષ્મીપુરમ ગામના રહેવાસી નક્કા ઇન્દ્રય્યાનું 80 વર્ષની ઉંમરે 11 જાન્યુઆરીએ અવસાન થયું. તેમની અંતિમ ઇચ્છા મુજબ તેમને તે જ કબરમાં દફનાવવામાં આવ્યા જે તેમણે પોતે બનાવી હતી. તેમનું કહેવું હતું કે દુઃખના સમયે તેમના બાળકોને કોઈ બોજ ન ઉઠાવવો પડે તેથી તેમણે આવું કર્યું. ઇન્દ્રય્યાએ તેને 'આખરી આરામગાહ' નામ આપ્યું હતું અને પત્નીની કબરની બાજુમાં કબર બનાવી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: ટ્રમ્પનો તગડો ઓઇલ પ્લાન:પેટ્રોલ-ડીઝલ સસ્તાં થઈ શકે, ડોલરને બચાવવા વેનેઝુએલાનો ખેલ પાડ્યો, અમેરિકાની આડોડાઇથી ગુજરાત માથે 3 જોખમ 2. આજનું એક્સપ્લેનર:ત્રીજા સ્ટેજમાં કેવી રીતે નિષ્ફળ ગયું ISROનું રોકેટ લોન્ચ મિશન, 16 સેટેલાઈટ સ્પેસમાં ગુમ; 8 મહિનામાં બીજી વાર આવું ફેલિયર 3. ગરીબ પરિવારમાં જન્મેલો અમદાવાદી આજે કરોડોમાં આળોટે છે:'પપ્પાનું કરંટથી મોત, માતાની કાળી મજૂરી'; પારસ પંડિતે અમદાવાદમાં પત્નીને મહેલ જેવો બંગલો ગિફ્ટમાં આપ્યો 4. વડોદરામાં કોહલીને મળીને રાતોરાત વાઇરલ થયેલો ટેણિયો કોણ?:ચહેરો, આંખ, સ્મિત, હાવભાવ બધું મળતું આવે; જોતાંવેંત વિરાટે કહ્યું, તું તો મારી કાર્બન કોપી લાગે 5. ભલભલા શહેરને આંજી દેતું ગુજરાતનું ગામડું:FDથી બેંક છલોછલ, શેરીએ શેરીએ ભવ્ય બંગલા, દરેક ઘરમાં NRI પરિવાર, આજે જ કેમ ઊજવાય છે ધર્મજ ડે? 6. ગઝનવીએ સોમેશ્વર શિવલિંગના ટુકડા મસ્જિદમાં લગાવ્યા:6 ટન સોનું લૂંટ્યું; નહેરુ સોમનાથ મંદિર બનાવવાના આટલા વિરુદ્ધમાં કેમ હતા 7. દલિતો સાથે રાત્રિભોજન, હિન્દુઓ વિરુદ્ધ હિંસા પર ફોકસ:બંગાળમાં RSSનો 5 પોઈન્ટર પ્લાન, દરેક હિન્દુના ઘર સુધી હિન્દુત્વ પહોંચાડે BJP કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: વૃષભ જાતકોને અટકેલા કાર્યોમાં ગતિ આવશે, કન્યા જાતકોને વેપારમાં ભાગ્યનો સાથ મળશે, મકર જાતકોને બેદરકારીના લીધે નુકસાન થશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:00 am

દાગીનાની ચોરીનો મામલો આવ્યો સામે:એસટી ડેપો પરથી પૂણેની મહિલાના સોનાના 15 તોલાના દાગીનાની ચોરી

પૂણેથી નણંદના લગ્નમાં વડોદરા આવેલી મહિલાના સોનાના સાડા પંદર તોલા દાગીના સેન્ટ્રલ ડેપોના પ્લેટફોર્મ 10 પરથી ચોરાઈ ગયા હતા. ગઠિયાઓએ ભીડનો લાભ લઈ બસમાં ચડતી મહિલાના પર્સમાંથી દાગીનાની ચોરી કરી હતી. આ ઘટના અંગે સયાજીગંજ પોલીસ ચોરીનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. જોકે સોનાના સાડા પંદર તોલાના દાગીનાની પોલીસે માત્ર 70 હજાર જ કિંમત ગણી હતી. પૂણે વેંકટેશ ક્ષિતિજ ખાતે રહેતાં જાગૃતિબેન નિલેશભાઈ પટેલના પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓ પતિ અને દીકરી સાથે 25 ડિસેમ્બરે નણંદના લગ્નમાં વડોદરા આવ્યાં હતાં. લગ્ન 27મીએ હતાં, જેથી તે પ્રસંગ પૂર્ણ કરી જાગૃતિબેન પિયર ખંભાત જવા માગતાં હતાં. તેઓ 28મીએ વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો પહોંચ્યાં હતાં. બપોરે 12 વાગ્યાની આસપાસ પ્લેટફોર્મ 10 પર પહોંચ્યાં હતાં. બસમાં બેસી ગયા બાદ તેમને જણાયું હતું કે, પર્સમાં મૂકેલું નાનું પાકિટ ગાયબ છે. પાકિટમાં રૂા.70 હજારના સોનાના સાડા પંદર તોલાના દાગીના હતા. સયાજીગંજ પોલીસે ચોરીનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. પ્લેટફોર્મ પર 50થી વધુ લોકોની ભીડ હતી, પર્સની બે ચેન ખોલી ગઠિયાએ દાગીના મૂકેલું પાકિટ ચોર્યુંહું મારી દીકરી સાથે પ્લેટફોર્મ પર હતી. ખંભાતના પ્લેટફોર્મ પર 50થી વધુ લોકો બસમાં ચડવા જતા હતા. મારા પર્સમાં સાડા પંદર તોલાના દાગીના મૂકેલા હતા. પર્સની મુખ્ય ચેન ખોલી કોઈ ગઠિયાએ દાગીના મૂકેલું પાકિટ ચોરી કરી લીધું હતું. હું બસમાં બેસી ગઈ, ત્યારે મારું પર્સ ખુલ્લું હતું અને પછી ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. અહીં ઘણીવાર ચોરી થાય છે, તેમ મને જાણવા મળ્યું હતું. - (જાગૃતિબેન પટેલ સાથે થયેલી વાતચીત મુજબ)

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:59 am

ઝળહળતી સિદ્ધિ:એમ.એસ. યુનિવર્સિટીએ 10 વર્ષ બાદ બેડમિન્ટનમાં સ્ટેટ ચેમ્પિયનશિપ જીતી

એમ.એસ. યુનિવર્સિટીનો ઈન્ટર યુનિવર્સિટી સ્ટાફ ગેમ્સમાં દબદબો જોવા મળ્યો હતો. યુનિવર્સિટીએ 10 વર્ષ બાદ બેડમિન્ટનમાં સ્ટેટ ચેમ્પિયનશિપ જીતી છે. સુરત ખાતે ઓલ ગુજરાત સ્ટેટ ઈન્ટર યુનિવર્સિટી સ્ટાફ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી-સુરત ખાતે 9થી 11 જાન્યુઆરી દરમિયાન ઓલ ગુજરાત સ્ટેટ ઈન્ટર યુનિવર્સિટી સ્ટાફ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સ્ટાફ ક્લબ અને ઓલ ગુજરાત સ્ટેટ યુનિવર્સિટી સ્ટાફ ગેમ્સ એસોસિયેશન દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ ટુર્નામેન્ટમાં રાજ્યની કુલ 12 યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને અનેક સિદ્ધિ હાંસલ કરી છે. બેડમિન્ટન ટુર્નામેન્ટમાં 10 વર્ષના લાંબાગાળા બાદ ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. ટુર્નામેન્ટમાં એમ.એસ.યુનિવર્સિટીએ ફાઇનલમાં ગૂજરાત વિદ્યાપીઠને હરાવીને ચેમ્પિયન બની હતી. યુનિવર્સિટી માટે ગર્વની વાત એ છે કે, 10 વર્ષ બાદ આ ચેમ્પિયનશિપ ફરી એમ.એસ.યુનિવર્સિટી જીતી છે. જેમાં પોલિટેક્નિક કોલેજના લેક્ચરર ડૉ.મુકેશ ચાવડા, કોમર્સ ફેકલ્ટીના આસિ. પ્રોફેસર ડૉ.ભૂમિત શાહ પ્રથમ સ્થાને રહ્યા હતા. રનર્સ-અપ તરીકે ટેબલ ટેનિસની રમતમાં પણ યુનિવર્સિટીના સ્ટાફે સારું પ્રદર્શન કર્યું હતું અને સમગ્ર ટુર્નામેન્ટમાં રનર્સ-અપ તરીકે જાહેર થયા હતા. જેમાં રનર્સ-અપ ખેલાડીઓ મેહુલ પટેલ અને પિયુષ ગોહેલ રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં ક્રિકેટ, ચેસ અને ટેબલ ટેનિસ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ક્રિકેટમાં પણ એમ.એસ. યુનિવર્સિટીની ટીમે લડાયક પ્રદર્શન કરી સેમિ ફાઇનલ સુધીની સફર ખેડી હતી. યુનિવર્સિટીમાં કર્મચારીએ સ્પેશિયલ કેમ્પ થકી વિવિધ રમતોની ટ્રેનિંગ લીધીયુનિવર્સિટીના કર્મચારીઓએ સ્પેશિયલ કેમ્પ કર્યો હતો જેમાં વિવિધ રમતો માટે ટ્રેનિંગ લેવામાં આવી હતી. ઓલ ગુજરાત સ્ટેટ ઈન્ટર યુનિવર્સિટી સ્ટાફ ગેમ્સમાં વિજેતા બનવા માટે કર્મચારીઓ દ્વારા રોજ પ્રેક્ટીસ કરવાની સાથે વિશેષ કેમ્પ માટે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે પણ ટ્રેનિંગ લીધી હતી.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:57 am

સેવાકાર્ય:ભંભાણી પરિવારે 10 મનોદિવ્યાંગ બાળકની આજીવન જવાબદારી લીધી

વારસિયામાં રહેતા ભંભાણી પરિવારે આસ્થા ફાઉન્ડેશનમાં એડમિશન મેળવવા માટે રાહ જોઈ રહેલા 10 મનોદિવ્યાંગ બાળકોની જવાબદારી ઉપાડી હતી. વર્ષ 2010થી આસ્થા ફાઉન્ડેશન 20 શિક્ષકો દ્વારા 110 મનોદિવ્યાંગ બાળકોની સંભાળ લઈ રહ્યું છે. ભંભાણી પરિવારે સિરામિકના વ્યાપાર સાથે સંકળાયેલા છે. દીકરા થકી આસ્થા ફાઉન્ડેશન વિશે જાણ થતાં અશોક ભંભાણી સંસ્થાની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ અશોકભાઈએ ઘરમાં વાત કરતા તેમના પિતા હરગુન ભંભાણી અને તેમના પત્ની સપના ભંભાણીએ સંસ્થાના 10 મનોદિવ્યાંગ બાળકોની આજીવન જવાબદારી ઉપાડવાનું નક્કી કર્યું હતું. બાળકો પહેલીવાર પેન ઉપાડશેસંસ્થાના અગ્રણી મદનભાઈએ જણાવ્યું હતું કે, આ 10 બાળકો અંત્યત ગરીબ પરિવારોમાંથી આવે છે. તેઓની આર્થિક પરિસ્થિતિ એવી નથી કે તેઓ કોઈ સંસ્થામાં પ્રવેશ મેળવી શકે. ભંભાણી પરિવાર દ્વારા બાળકોની જવાબદારી ઉપાડતા આ બાળકો પહેલી વાર પેન ઉપાડશે અને અન્ય પ્રવૃતિઓ શીખશે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:55 am

અન્નકૂટનું આયોજન:ગિરિકંદરા મહોત્સવમાં વૈષ્ણવોના સેવ્ય સ્વરૂપ 600 ઠાકોરજી પધાર્યાં

વાઘોડિયા રોડના જય અંબે ગ્રાઉન્ડ પર ચાલી રહેલા ગિરિ કંદરા મહોત્સવના દ્વિતિય દિવસે 11 જાન્યુઆરીએ વૈષ્ણવોના સેવ્ય સ્વરૂપ ઠાકોરજીનો ભવ્ય અન્નકૂટ મહા મહોત્સવ યોજાયો હતો. જેમાં વૈષ્ણવોના 600 જેટલા સેવ્ય સ્વરૂપ ઠાકોરજી પધાર્યાં હતાં. જ્યારે ગિરિરાજજીની અલગ અલગ કંદરામાં બિરાજી ભવ્ય અન્નકૂટ આરોગ્યો હતો. આ મહોત્સવ પ્રસંગે વલ્લભયુથ ઓર્ગેનાઈઝેશનના સંસ્થાપક અને વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. તેમને ઠાકોરજીને અન્નકૂટ ભોગ ધરાવી આરતી કરી હતી. 4 હજાર વૈષ્ણવોએ આ અન્નકૂટ મહોત્સવનો લાભ લીધો હતો. પીઠીકા વિતરણ તેમજ રાસ ગરબા પણન યોજાયા હતા. જેમાં લગભગ 1 હજારથી વધારે પીઠીકા વિતરણનું આયોજન કરાયું હતું. જ્યારે બીજી 4 હજાર પીઠીકા આગામી દિવસોમાં વૈષ્ણવને ઉપલબ્ધ થાય તેમ વ્યવસ્થા કરાશે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:54 am

અયોધ્યાના હનુમાનગઢીના મહંત વડોદરાની મુલાકાતે:આજે અયોધ્યા વિશ્વપટલ પર ચમકે છે,દરેક ત્યાં આવવા માગે છે: મહંત બલરામ દાસજી

અયોધ્યાના હનુમાનગઢીના મહંત 2 દિવસ માટે વડોદરાની મુલાકાતે હતા. આ દરમિયાન તેમના યજમાન સ્થાને સુંદરકાંડ પાઠનું આયોજન નૂતન ભારત ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું. મહંત બલરામ દાસજીએ જણાવ્યું હતું કે, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં ભક્તિ યુવાઅવસ્થામાં છે. હાલમાં ભારત જે દિશામાં આગળ વધી રહ્યું છે તેમાં દેશ ‘સોને કી ચીડિયા’ બનવા જઈ રહ્યું છે. આજનો યુવા ધર્મ પ્રત્યે જાગૃત છે. આજે અયોધ્યા વિશ્વપટલ પર ચમકી રહ્યું છે. દેશનો દરેક વ્યક્તિ અયોધ્યા મંદિરના દર્શન કરવા આવવા માગી રહ્યો છે. જો કોઈ એ અયોધ્યના રામ મંદિરના દર્શન કરવા કરવા હોય તો સૌથી પહેલા તેઓએ હનુમાનગઢી દર્શન કરવા આવવું પડે છે. બાદમાં અયોધ્યા રામ મંદિરમાં દર્શને જાય છે. સુંદરકાંડ પાઠના આયોજક શમ્મીસિંહે જણાવ્યું હતું કે, મહંત સુરત જઈ રહ્યા હતા જેથી મારી વિનંતીથી વડોદરા 2 દિવસ તેઓએ રોકાણ કર્યું છે. હું જ્યારે અયોધ્યા ગયો હતો ત્યારે મારી પહેલીવાર મુલાકાત થઈ હતી. જે બાદ મારા જીવનમાં ઘણા સકારાત્મક બદલાવ આવ્યા છે. મહંત અયોધ્યામાં દર વર્ષે 101 યુગલોના લગ્ન કરાવે છે, સાથે કથા અને રામલીલા પણ યોજાય છેહનુમાનગઢીના મહંત દર વર્ષે અયોધ્યામાં દર વર્ષે 101 યુગલોના સમૂહ લગ્ન કરાવવામાં આવે છે. આ સાથે તેઓ કથા અને રામલીલાનું પણ આયોજન કરે છે. તેઓ ગુજરાત બીજી વાર આવ્યા હતા. જોકે વડોદરા તેઓ પહેલી વાર આવ્યા હતા. મંગળવારે પણ તેઓ વડોદરા રાકાશે અને બુધવારે સવારે તેઓ સુરત જવા માટે રવાના થશે. ઉલ્લેખનીય છે કે, હનુમાન ગઢીનું પૌરાણિક મહત્વ પણ છે. રામ-રાવણ યુદ્ધ બાદ ભગવાન રામે જે સ્થાન હનુમાનજીને રહેવા માટે જે સ્થાન અયોધ્યામાં રહેવા માટે આપ્યું હતું તે સ્થાનને હનુમાનગઢી તરીકે ઓળખાય છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:53 am

ગુંડા ગર્દીનું એપી સેન્ટર બન્યું આર્ટ્સ ફેકલ્ટીનું કેન્ટિન:આર્ટ્સની કેન્ટિન પાસે વિદ્યાર્થિનીને જોવા મુદ્દે ટકોર કરતાં યુવકનો પટ્ટાથી વિદ્યાર્થી પર હુમલો

મ.સ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના યુવાને મારામારી કરી હોવાની ઘટના બહાર આવી છે. કેન્ટીન પાસે વિદ્યાર્થિનીને જોવા બાબતે ટકોર કરતાં યુવાને પટ્ટા વડે વિદ્યાર્થીને માર્યો હતો. યુનિ.ની સિક્યુરિટી સદંતર નિષ્ફળ ગઈ છે, જ્યારે એસી કેબિનમાં બેસતા અધિકારીઓની વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે બેદરકારી સામે આવી છે. યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીની કેન્ટીન ગુંડા ગર્દીનું એપી સેન્ટર બની છે. યુનિવર્સિટીની બહારનાં તત્ત્વો કેમ્પસમાં બેરોકટોક પ્રવેશે છે અને મન ફાવે ત્યાં બેસી વિદ્યાર્થિનીઓની છેડતી કરી રહ્યા છે. જોકે યુનિવર્સિટીના સત્તાધીશોને કોઇ લેવા-દેવા ન હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. સોમવારે આર્ટ્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના યુવાને એક વિદ્યાર્થીને પટ્ટા વડે મારીને ગાળાગાળી કરી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. વિદ્યાર્થી તેના મિત્ર સાથે કેન્ટીનમાં બેઠો હતો ત્યારે બહારના યુવાને કોઇ કોમેન્ટ કરી હતી. જેથી વિદ્યાર્થીએ ટોકતાં ઉશ્કેરાયેલા તે શખ્સે પટ્ટો કાઢી તેને માર્યો હતો. ઘટના સમયે એક પણ સિક્યુરિટી જવાન હાજર નહતો. આર્ટ્સ ડીને સિક્યુરિટી વધારવા 3 પત્ર લખ્યા છતાં પગલાં ન લેવાયાંઆર્ટ્સના ડીને ફેકલ્ટીમાં સિક્યુરિટી વધારવા 3 પત્રો યુનિવર્સિટી સત્તાધીશોને લખ્યા છે. જ્યારે તેમણે રૂબરૂમાં વીસી, રજિસ્ટ્રારને રજૂઆતો કરી હતી છતાં હજુ કોઇ કાર્યવાહી કરાઈ નથી, જેને પગલે વિદ્યાર્થીઓની સુરક્ષા રામ ભરોસે છે. અગાઉ આર્ટ્સ ફેકલ્ટીમાં થયેલી મારામારીની ઘટના બાદ ફેકલ્ટીના જ અધ્યાપકો દ્વારા આઇકાર્ડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નવા આવેલા વાઇસ ચાન્સેલર વાસ્તવિક સ્થિતિથી અજાણનવા આવેલા વાઇસ ચાન્સેલરને યુનિવર્સિટીમાં શું થઇ રહ્યું છે તે વિશેની જાણકારી હેડ ઓફિસની એસી કેબિનમાં બેસતા ઉચ્ચ અધિકારીઓ બ્રિફિંગ કરી રહ્યા છે, જેને કારણે વીસી પણ યુનિવર્સિટીની જમીની હકીકતોથી વિશે જાણકારી મળી રહી નથી. સિક્યુરિટી જેવા મહત્ત્વના મુદ્દા પર કોઇ કાર્યવાહી થઇ રહી નથી.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:51 am

સિંધી ભાષા લુપ્ત થતી રોકવા ઝુંબેશ:590 વિદ્યાર્થીઓએ સિંધી ભાષાની પરીક્ષા આપી

સિંધી ભાષા લુપ્ત થતી બચાવવાના અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદ દ્વારા પરીક્ષા યોજાઈ હતી, જેમાં વડોદરાના 590 વિદ્યાર્થીઓએ સિંધીની પરીક્ષા આપી હતી. સિંધી ભાષા શીખવાના 100 કલાકના વર્ગો લેવાય છે, જ્યારે સર્ટિફિકેટ, ડિપ્લોમા, એડવાન્સ ડિપ્લોમાના કોર્સ ચલાવાય છે. સિંધી ભારતની ઓફિશિયલ ભાષા હોવા છતાં લુપ્ત થઇ રહી છે. જેને પગલે સરકાર સિંધી ભાષાને બચાવવા અભિયાન કરી રહી છે. રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે સિંધી ભાષા માટે પરીક્ષા યોજાય છે. હરિ સેવા સ્કૂલ- વારસિયામાં 590 વિદ્યાર્થીઓએ સિંધી ભાષાની પરીક્ષા આપી હતી. ગુજરાતમાંથી 40 હજાર વિદ્યાર્થી પરીક્ષા આપી હતી. દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બર અને ડિસેમ્બરમાં 100 કલાકનો કોર્સનો અભ્યાસ કરાવ્યા બાદ જાન્યુઆરીમાં પરીક્ષા લેવાય છે. ઉત્તીર્ણ વિદ્યાર્થીને પ્રમાણપત્ર અપાય છે. સિંધી ભાષા શીખવનાર શિક્ષકને 100 કલાક ભણાવવાના કલાકના રૂા.250 લેખે 25 હજાર વેતન અપાય છે. 1960-70ના દાયકામાં વડોદરામાં શિક્ષણ સમિતિની 16 સિંધી માધ્યમની અને 3 મોટી સ્કૂલો હતી. જોકે આ શાળાઓ ક્રમશ: બંધ થઇ ગઇ છે. ભાસ્કરો નોલેજસિંધી ભાષામાં પુસ્તકો લખાય તે દિશામાં પણ પ્રયાસકેન્દ્ર સરકાર દ્વારા સિંધી ભાષાનો પ્રચાર થાય અને તે લુપ્ત થતી બચે તે માટે નિ:શુલ્ક પુસ્તકો આપવામાં આવે છે. રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદ દ્વારા સિંધી ભાષા નવી પેઢી શીખે અને તેમાં પુસ્તકો પણ લખાય તે દિશામાં પ્રયાસ કરી રહી છે. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં પણ સિંધી ભાષામાં 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:50 am

પોલીસ એક્શન મોડમાં:ઉત્તરાયણ પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, સમયસર હરાજી પૂર્ણ કરવાની સૂચના

ઉત્તરાયણને લઈ મુખ્ય પતંગ બજારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. સાથે પોલીસે વહેલાં બજાર શરૂ કરી રાત્રે વહેલાં બંધ કરવા વેપારીઓને અપીલ કરી હતી. દરમિયાન ટ્રાફિક ન થાય તેનું પોલીસ ધ્યાન રાખશે. સિટી, વાડી, પાણીગેટ, કુંભારવાડા, સયાજીગંજ, ગોરવા સહિતના વિસ્તારમાં પોલીસે સોમવારે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. પોલીસ દ્વારા મુખ્ય રોડની આજુબાજુ પતંગ-દોરાનું વેચાણ કરતા વેપારીઓને તેમના પથારા તથા દુકાનોનો સામાન, વાહનોથી ટ્રાફિક ન સર્જાય તેવું આયોજન કરવા જણાવ્યું હતું. સાથે પતંગ બજારની હરાજી સમયસર પૂર્ણ કરવા તેમજ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, તુક્કલ અને પ્રતિબંધિત વસ્તુનું વેચાણ ન કરવા કહ્યું હતું. ચાર દરવાજામાં 300થી વધુ પથારા, દુકાન, તમામ સ્થળો પર સમયાંતરે ચેકિંગ કરાશેચાર દરવાજા વિસ્તારમાં 300થી વધુ પથારા, દુકાન સહિત લારી-ગલ્લા પતંગ બજારમાં અને હરાજી વખતે હાજર રહેશે. સવારે 10 વાગ્યાથી બજાર ભરાશે અને મોડી રાત સુધી ચાલશે. પોલીસ દ્વારા પ્રતિબંધિત વસ્તુ વેચાય નહીં તે માટે સમયાંતરે ચેકિંગ કરાશે. કોઈ પ્રતિબંધિત વસ્તુ સાથે પકડાશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:46 am