SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
... ...View News by News Source

બોટાદમાં હુમલાના ચાર આરોપીઓની ધરપકડ:પોલીસે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવી વધુ તપાસ હાથ ધરી

બોટાદ શહેરમાં એક વ્યક્તિ પર હુમલો કરવાના કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના 16 ડિસેમ્બરે પાળીયાદ રોડ પરના હજામની શીંડી વિસ્તારમાં બની હતી. પોલીસે ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓને ઘટનાસ્થળે લાવીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ કાર્યવાહી ગુનાની તપાસમાં મદદરૂપ થાય છે. 16 ડિસેમ્બરે ઈમરાન ગાંજા નામનો વ્યક્તિ એક હોટલમાંથી જમીને બહાર નીકળી રહ્યો હતો, ત્યારે ચાર શખ્સોએ લાકડીઓ વડે તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈમરાન ગાંજાને ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા. પોલીસે આ હુમલાના સંબંધમાં શક્તિરાજ બસીયા, જયદીપભાઈ ખાચર, મયદીપભાઈ ખાચર અને દીપરાજભાઈ જોરૂભાઈ નામના ચાર શખ્સો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. આરોપીઓની ધરપકડ અને રિકન્સ્ટ્રક્શન બાદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:27 pm

બોટાદમાં અનુસૂચિત સમાજના ઉપવાસનો 13મા દિવસે અંત:કેબિનેટ મંત્રી પદયુમન વાજાએ SPP નિમણૂકની ખાતરી આપી પારણા કરાવ્યા

બોટાદના સરવઈ ગામમાં રાજુભાઈ પરમારના અપહરણ અને હત્યા કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (SPP)ની નિમણૂકની માંગ સાથે અનુસૂચિત સમાજ દ્વારા ચાલી રહેલા પ્રતિક ઉપવાસનો આજે 13મા દિવસે અંત આવ્યો છે. વર્ષ 2011માં બોટાદ જિલ્લાના સરવઈ ગામે અનુસૂચિત સમાજના રાજુભાઈ પરમારનું અપહરણ કરી હત્યા કરવામાં આવી હતી, અને બાદમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને ઘણા વર્ષો વીતી ગયા હોવા છતાં ન્યાય ન મળતા મૃતકના ભાઈ બાબુભાઈ પરમારે SPPની નિમણૂક માટે માંગ કરી હતી. SPPની નિમણૂક ન થતાં અનુસૂચિત સમાજે બોટાદ કલેક્ટર કચેરી સામે 22 ડિસેમ્બરથી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું, જે આજે 13મા દિવસે પહોંચ્યું હતું.4 ડિસેમ્બરની રાત્રે રાજ્યના કેબિનેટ મંત્રી પદયુમન વાજાએ ઉપવાસીઓને ખાતરી આપીને પારણા કરાવતા આંદોલન સમાપ્ત થયું હતું. આ દરમિયાન, રાજ્યના કેબિનેટ મંત્રી પદયુમન વાજાએ ગઈકાલે 4 ડિસેમ્બરે ઉપવાસ પર બેઠેલા આગેવાનોની મુલાકાત લીધી હતી. મંત્રીએ તેમની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી અને તાત્કાલિક રાજ્યના કાયદા મંત્રીને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. મંત્રી વાજાએ ઉપવાસીઓને ખાતરી આપી હતી કે રાજુભાઈ પરમાર હત્યા કેસમાં ન્યાય મળે તે માટે સરકાર ગંભીર છે અને ટૂંક સમયમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવશે. મંત્રીની ખાતરી બાદ અનુસૂચિત સમાજ દ્વારા ચાલી રહેલા આંદોલનને મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો. મૃતકના પરિવારજનો અને અનુસૂચિત સમાજે સ્પેશિયલ પીપીની જલ્દી નિમણૂક કરવામાં આવશે તેવી ખાતરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. આ માહિતી મૃતકના ભાઈ બાબુભાઈ પરમાર અને અનુસૂચિત સમાજના આગેવાન કિર્તિભાઈ ચાવડાએ આપી હતી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:23 pm

ગોધરા શાક માર્કેટમાં કચરો:સફાઈ કામદારો દુકાનો આગળ કચરો ભેગા કરતા હોવાનો વેપારીઓનો આક્ષેપ

ગોધરા નગરપાલિકા સંચાલિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય શાક માર્કેટમાં સફાઈ વ્યવસ્થા કથળી ગઈ છે. રાત્રિ સફાઈ માટે પૂરતા સાધનોના અભાવે બજારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે, જેના કારણે વેપારીઓ અને નગરજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક વેપારી અનિલ કુમાર સુખવાણીના જણાવ્યા અનુસાર, પાલિકાના સફાઈ કામદારો રાત્રે સફાઈ કરવા આવે છે, પરંતુ તેમને કચરો લઈ જવા માટે ટ્રેક્ટર કે અન્ય વાહન ફાળવવામાં આવતું નથી. આથી, કામદારો કચરો વાળીને દુકાનોની આગળ જ મોટા ઢગલા કરી દે છે. વેપારીઓ વહેલી સવારે 3 વાગ્યે જ્યારે દુકાનો ખોલે છે, ત્યારે તેમને દુકાન આગળ જ ગંદકીના થર જોવા મળે છે. પાલિકાની કચરાની ગાડી બીજા દિવસે સવારે 10 વાગ્યે આવે ત્યાં સુધી વેપારીઓને ગંદકી અને દુર્ગંધ વચ્ચે બેસવાની ફરજ પડે છે. વેપારીઓએ આ અંગે પાલિકાના ઝોન સેનેટરી ઇન્સ્પેક્ટર અને અધિકારીઓને પણ રજૂઆત કરી હતી. જોકે, સફાઈ કર્મચારીઓ એક દિવસ છોડીને બીજા દિવસે રાત્રે આવે છે. કેટલાક વેપારીઓ ડસ્ટબિન રાખે છે, પરંતુ જેઓ નથી રાખતા તેઓ કચરો રસ્તા પર ફેંકે છે, જે દુકાનો આગળ એકઠો થાય છે. શાક માર્કેટના વેપારીઓએ માંગ કરી છે કે રાત્રિ સફાઈ દરમિયાન કર્મચારીઓને ઓછામાં ઓછું એક કલાક માટે ટ્રેક્ટર ફાળવવામાં આવે, જેથી કચરો તાત્કાલિક હટાવી શકાય. આ ઉપરાંત, ઝોન ઇન્સ્પેક્ટર અને સુપરવાઈઝર દ્વારા નિયમિત સ્થળ મુલાકાત લઈ વાસ્તવિક અહેવાલ તૈયાર કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. નગરજનો દ્વારા આ સ્થળે ટ્રાફિક પોઈન્ટ અને પોલીસ પોઈન્ટ મૂકવાની પણ લાગણી અને માંગણી વ્યક્ત કરવામાં આવી છે. વેપારીઓ દ્વારા નગરપાલિકાના સફાઈ કામદારો પર દુકાન આગળ કચરો નાખી જવાના આક્ષેપ બાદ દિવ્ય ભાસ્કરની ટીમે સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર આર.કે મહેતાનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓએ ફોન રિસીવ કર્યો ન હતો.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:16 pm

પતંગની દોરી સામે સુરક્ષા કવચ:બગવાડા દરવાજા પાસે ટુ-વ્હીલર પર થ્રેડ ગાર્ડ લગાવાયા

ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની જીવલેણ દોરીથી વાહનચાલકોને બચાવવા માટે સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભારત વિકાસ પરિષદ સિદ્ધ હેમ શાખા દ્વારા પતંગની દોરી સામે સુરક્ષા કવચ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે ટુ-વ્હીલરમાં થ્રેડ ગાર્ડ વિતરણ અને ફિટિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના વ્યસ્ત ગણાતા બગવાડા દરવાજા પાસે સુરક્ષાના સાધનો લગાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ કેમ્પમાં અંદાજે 1000 જેટલા ટુ-વ્હીલર વાહનો પર સેફ્ટી ગાર્ડ (સળિયા) લગાડવામાં આવ્યા છે. ઉત્તરાયણના તહેવારમાં ગળાના ભાગે દોરી આવવાના કારણે થતા જીવલેણ અકસ્માતોને રોકવા માટે આ સુરક્ષા કવચ અત્યંત મહત્વના સાબિત થાય છે. આયોજકો દ્વારા મોટી સંખ્યામાં વાહનચાલકોને આ સેવાનો લાભ આપવામાં આવ્યો હતો. આગામી પર્વને ધ્યાનમાં રાખીને અમૂલ્ય માનવ જિંદગી બચાવવાના પ્રયાસ રૂપે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:15 pm

ગુજરાત યુનિવર્સિટીના 74મા પદવીદાનમાં વિદ્યાર્થિનીઓની સફળતા:માત્ર 10% વિઝન સાથે ધૈર્યા માંકડને માસ્ટર ઇન પર્ફોર્મિંગ આર્ટમાં ગોલ્ડ મેડલ, રવિના રાજપુરોહિત LLBમાં 8 મેડલ્સ સાથે ટોપર બની

ગુજરાત યુનિવર્સિટીમાં 74મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં 300 કરતા વધુ વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. બે સ્ટાર્ટઅપ અને એક સ્પોર્ટસ પર્સનને ડિગ્રી અપાઈ હતી. વિદ્યાશાખાઓના જે વિદ્યાર્થીઓ છે, એમાં સૌથી વધારે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ હતા તેમજ પછી મેડિકલ અને એજ્યુકેશનના વિદ્યાર્થીઓને પણ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. એક એવી વિદ્યાર્થીનીને પણ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો, જે માત્ર 10 ટકા જ જોઈ શકે છે તેમજ રવિના રાજપુરોહિત 8 મેડલ્સ સાથે ટોપર બની હતી. બીએ અને એમએ સંસ્કૃતમાં 6 ગોલ્ડ મેળવી ચુકી છેબે આંખે ક્લીયર વિઝન હોવાવાળા વિદ્યાર્થીઓ જે નથી કરી શકતા તે ગુજરાત યુનિવર્સિટીની એક વિદ્યાર્થિનીએ કરી બતાવ્યું છે. ધૈર્યા માંકડ પોતાની એક આંખમાં માત્ર 10 ટકા વિઝન છે છતાં પોતાને સફળ સાબિત કરી છે. ધૈર્યાએ માસ્ટરસ ઈન પર્ફોર્મીંગ આર્ટસમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેના અભ્યાસનો આ પહેલો ગોલ્ડ મેડલ નથી, અગાઉ ધૈર્યા બીએ અને એમએ સંસ્કૃતમાં 6 ગોલ્ડ મેળવી ચુકી છે. માત્ર 10 ટકા વિઝન હોય તો ઘણી વખત લોકો હતાશ થઈ જતા હોય છે પરંતુ, ધૈર્યાએ હિંમત હારી નહીં અને હતાશ થયા વગર જ મહેનત ચાલુ રાખી, જેનું આજે પરિણામ આવ્યું છે. આંખમાં 10 ટકા જ વિઝનના કારણે વાંચવામાં પડકાર ઊભો થતોવિદ્યાર્થીની ધૈર્યા માંકડે જણાવ્યું હતું કે, માસ્ટર ઇન પર્ફોર્મિંગ આર્ટસમાં વિકલ મ્યુઝિકમાં સુવર્ણ ચંદ્રક મેડલ મળ્યા છે. મને આ આઠમો ગોલ્ડ મેડલ મળ્યો છે. એના પહેલા બીએ અને સંકૃતમાં પણ ગોલ્ડ મેડલ મળ્યા છે. એક જ આંખમાં 10 ટકા જ વિઝન છે. જેથી વાંચવા મને ખૂબ પડકાર ઊભો થતો હતો. માત્ર સૂર્ય પ્રકાશમાં જ વાંચી શકું છું. જેથી વાંચવાની જે કામ હોય તે દિવસ દરમિયાન કરવાનો પ્રયાસ કરતી હતી. જે બાદ મારા માતા પિતા મને વાંચીને સંભળાવતા હતા અને હું તૈયારી કરતી હતી. મોટા અક્ષર હોય તે જ વાંચી શકાય છે નાના અક્ષર વાંચી શકાતા નથી. જેથી વાંચવા માટે કોઈની મદદ લઈને આજે સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. સૌથી વધુ 8 ગોલ્ડ મેળવનારી વિદ્યાર્થિની છે રવિના રાજપુરોહિતવિદ્યાર્થીની રવિના રાજપુરોહિતે જણાવ્યું હતું કે, મને આજે LLBમાં 8 મેડલ મળ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં ગયા વર્ષે ટોપર પણ હતી. આજે 8 મેડલ મળ્યા છે તો મારો આખો પરિવાર ખૂબ ખુશ છે. ગયા વર્ષે તેનો છઠ્ઠો રેન્ક હતો, પરંતુ આ વખતે સૌથી વધુ મેડલ્સ મેળવીને તે ખૂબ જ આનંદિત અને પ્રભાવિત છે. હું ઘરે પણ નહોતી ત્યારે મારા ઘરે એક પત્ર આવ્યો હતો. આ સિદ્ધિ પત્ર ઘરે આવ્યો ત્યારે હું હાજર નહોતી અને પડોશીઓએ તે પત્ર સ્વીકાર્યો હતો. જોકે, પત્ર ગુજરાતીમાં હોવાથી તે શરૂઆતમાં થોડી મૂંઝવણમાં હતી, પરંતુ આ સફળતાથી આખો પરિવાર અત્યંત ખુશ અને ગૌરવ અનુભવી રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના પદવીદાનમાં અન્ય વિદ્યાર્થીઓને જે ગોલ્ડ મેડલ મળ્યા તેમાં સૌથી વધુ 8 ગોલ્ડ મેળવનારી વિદ્યાર્થિની છે રવિના રાજપુરોહિત.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:06 pm

રાજકોટમાં રીંગ રોડ-2ના ફેઝ-5નું કામ શરુ:મોરબી રોડથી અમદાવાદ રોડને જોડતા ફોરલેન માર્ગ માટે રૂ. 98.45 કરોડનું ટેન્ડર જાહેર, જાન્યુઆરી અંત સુધીમાં શરૂઆતની સંભાવના

રાજકોટ રૂડા (રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી) દ્વારા શહેરના નવા રીંગ રોડ-2ના વિકાસ માટે ફેઝ-5 અંતર્ગત મોરબી રોડથી અમદાવાદ રોડને જોડતા ફોરલેન માર્ગના નિર્માણ માટે રૂપિયા 98.45 કરોડનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના કારણે રાજકોટની ભાગોળેથી પસાર થતા હજારો વાહન ચાલકોને સીધો લાભ મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર ગણાતા અમદાવાદ હાઈ-વે અને મોરબી હાઈ-વે વચ્ચેની કનેક્ટિવિટી સુધરતા શહેરમાં પ્રવેશતા ભારે વાહનોનું ભારણ ઘટશે. જેના કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી શક્યતા છે. ચાલુ મહિનાના અંત સુધીમાં આ કામ શરૂ થાય એવી શક્યતા છે. ફેઝ-1થી 4ના કામો અલગ-અલગ સ્તરે પ્રગતિમાં છેપ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના નવા રીંગ રોડના નિર્માણની પ્રક્રિયા છેલ્લા ચાર વર્ષથી તબક્કાવાર ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં ફેઝ-1થી 4ના કામો અલગ-અલગ સ્તરે પ્રગતિમાં છે. હાલમાં જામનગર રોડથી કાલાવડ રોડ સુધીનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે જામનગર રોડથી ગોંડલ રોડ, ગોંડલ રોડથી ભાવનગર રોડ અને ભાવનગર રોડથી અમદાવાદ રોડ સુધીના કામો પુરજોશમાં ચાલી રહ્યા છે. આ કામગીરી દરમિયાન માર્ગમાં આવતા 7 જેટલા મોટા નાલા અને પુલનું કામ પણ સમાંતર રીતે આગળ વધી રહ્યું છે. મોરબી રોડને જોડતા ફેઝ-5ના કામના ખર્ચને સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતીજ્યારે જામનગર રોડથી ગોંડલ રોડને જોડતા સિંગલ લેન માર્ગને ફોરલેનમાં રૂપાંતરિત કરવાની મંજૂરી મળ્યા બાદ અત્યારે બંને સાઈડ પર બાંધકામની પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. રૂડા દ્વારા તાજેતરમાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં અમદાવાદ રોડથી મોરબી રોડને જોડતા ફેઝ-5 ના કામના ખર્ચને સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે જરૂરી જમીન સંપાદનની પ્રક્રિયા પણ હવે અંતિમ તબક્કામાં છે. જમીન કપાત બાદ નક્કી કરવામાં આવેલી લાઈનદોરી મુજબ ફોરલેન રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. BRTS રૂટનું પણ આયોજન કરવામાં આવ્યું હાલની તંત્રની યોજના મુજબ, જો ટેન્ડરની બીડ પ્રક્રિયા સમયસર પૂર્ણ થાય અને ક્વોટ કરેલા ભાવો માન્ય રહેશે તો જાન્યુઆરી 2026ના અંત સુધીમાં સાઈટ પર પ્રત્યક્ષ કામગીરી શરૂ કરી દેવામાં આવશે. આ પાંચમા તબક્કાનું કામ અંદાજે દોઢ વર્ષ જેટલા સમયગાળામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેનાથી સમગ્ર રીંગ રોડનું માળખું વધુ મજબૂત બનશે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને ટ્રાન્સપોર્ટ સુવિધાને ધ્યાનમાં રાખીને આ રીંગ રોડ પર માત્ર સામાન્ય માર્ગ જ નહીં પરંતુ, BRTS રૂટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાલાવડ રોડથી અટલ સરોવર સુધી BRTS રૂટ તૈયાર કરવા માટે ફોરલેન રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, થોડા સમય પૂર્વે બાકી રહી ગયેલા કાલાવડ રોડથી ગોંડલ રોડ સુધીના ફોરલેનનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. હવે અમદાવાદ રોડથી મોરબી રોડ સુધીના વિસ્તારમાં સીધો ફોરટ્રેક માર્ગ બનવાની સાથે રસ્તામાં આવતા પુલના કામો પણ હાથ ધરવામાં આવશે. આવા વિકાસ કામોના કારણે રાજકોટની આસપાસ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થશે. જે લાંબા ગાળે આર્થિક ગતિવિધિઓને પણ વેગ આપશે. ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામો એકસાથે ચાલુ કરવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાપાલિકા અને રૂડાના સંયુક્ત પ્રયાસોથી શહેરના 150 ફૂટ રીંગ રોડના અધૂરા કામો પૂર્ણ કરવા કામગીરી થઈ રહી છે. માધાપર ચોકડી જેવા વ્યસ્ત વિસ્તારોમાં ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામો એકસાથે ચાલુ કરવામાં આવ્યા છે, જેથી ટ્રાફિક જામની સમસ્યા નિવારી શકાય. ફેઝ-5 ની કામગીરી બાદ આગામી સમયમાં મોરબી રોડથી જામનગર રોડને જોડતા અંતિમ કડી સમાન ફોરલેન માર્ગ અને એઈમ્સ (AIIMS) હોસ્પિટલને જોડતા બાકી રહેલા રસ્તાના કામોને પ્રાથમિકતા આપવામાં આવશે. ગોંડલ રોડથી ભાવનગર રોડ વચ્ચેના 3 પુલનું કામ પૂર્ણ થઈ ગયું હોવાથી હવે તે સેક્શનને પણ જલ્દીથી ફોરલેનમાં ફેરવવાની કાર્યવાહી શરૂ થશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:01 pm

શ્વાનને કચડવાની ક્રૂર ઘટનાના CCTV:વડોદરામાં એપાર્ટમેન્ટમાં સુતેલી કુતરી ઉપર ગાડી ચડાવી દીધી, કાર ચડાવ્યા બાદ બાદ કાર રોકી નહીં અને કચડીને ભાગી છૂટ્યો, શ્વાનનું કમકમાટીભર્યું મોત

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા વ્રજ એવન્યુ પાસે એક અજાણ્યા ફોર વ્હીલર ચાલકે એક શ્વાન પર કાર ચડાવી દેતા શ્વાનનું સ્થળ પર જ મોત થયું હતું. આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.જીવદયા સંસ્થા 'દર્શના એનિમલ વેલફેર'ના સામાજિક કાર્યકર્તા નિરવભાઈ અરવિંદકુમાર શેઠ એ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે સંસ્થામાં કામ કરતા ચંચળબેન પંકજભાઈ વશિષ્ઠનો નિરવભાઈને ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું કે આજવા રોડ પર વ્રજ એવન્યુ પાસે એક કુતરી પર ફોર વ્હીલર ગાડી ચડાવી તેનું મોત નીપજાવ્યું છે તેવી વાત કરીને વીડિયો તેમજ લોકેશન મોકલ્યું હતું. નિરવભાઈએ વીડિયો જોતાં જાણવા મળ્યું કે સાંજના સાડા ચાર વાગ્યાના સુમારે એક ફોર વ્હીલર (રજિસ્ટ્રેશન નંબર GJ-06-RE-4915) ચાલકે શ્વાન પર કાર ચડાવી દીધી હતી. આ બાબતે તેમણે સંસ્થાના અન્ય કાર્યકર્તા અક્ષરભાઈ હેમંતભાઈ દલવાડીને જાણ કરી હતી. બંનેએ લોકેશન આધારે રાત્રિના સવા બાર વાગ્યાના સુમારે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, ત્યારે ખબર પડી હતી કે, મૃત્યુ પામનાર પશુ કુતરો નહીં, પરંતુ એક માંદા કુતરી હતી. આ ઘટના પશુઓ પ્રત્યેની ક્રૂરતાનો ગંભીર દુર્ભાગ્યપૂર્ણ કિસ્સો છે. જીવદયા સંસ્થાના કાર્યકર્તાઓએ પોલીસને વિનંતી કરી છે કે આરોપી વાહન ચાલક સામે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ સખત કાર્યવાહી કરવામાં આવે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે તેમજ આરોપી વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. આવી ઘટનાઓથી શહેરના જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે અને તેઓએ આરોપીને ઝડપથી પકડવાની માગણી કરી છે. સામાજિક કાર્યકર્તા નિરવભાઈ અરવિંદકુમાર શેઠ એ જણાવ્યું હતું કે, એપાર્ટમેન્ટમાં બેઠેલ શ્વાન પર કાર ચાલકે કાર ચડાવી દીધી હતી, ત્યારબાદ પણ તે રોકાયો નહોતો અને શ્વાન પર કાર ચડાવીને આગળ નીકળી ગયો હતો. આ મામલે મેં બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દર્શના એનિમલ વેલ્ફેર અને કેરેસ્ટ્રે ફાઉન્ડેશનના વોલેન્ટિયર શ્વેતાબેન દુબેએ જણાવ્યું હતું કે, વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા 'વ્રજ એવન્યુ' એપાર્ટમેન્ટમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં એક કાર ચાલકે પાર્કિંગમાં સૂતેલા નિર્દોષ શ્વાન પર નિર્દયતાથી ગાડી ચઢાવી દીધી હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ડ્રાઇવરે ગાડી વળાંક લેતી વખતે કે પાર્ક કરતી વખતે ન તો હોર્ન વગાડ્યો હતો કે ન તો શ્વાનને ત્યાંથી હટાવવાનો કોઈ પ્રયાસ કર્યો હતો. આ ગંભીર મામલે કેરેસ્ટ્રે ફાઉન્ડેશનન અને દર્શના એનિમલ વેલફેર દ્વારા સંયુક્ત રીતે પોલીસમાં FIR નોંધાવવામાં આવી છે. આ તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે કાર ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નહોતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજનો માનવી એટલો સ્વાર્થી બની ગયો છે કે તેને પ્રાણીઓના જીવની કોઈ કિંમત રહી નથી. જે શ્વાનનું આ અકસ્માતમાં મોત થયું છે, તેના હજુ માત્ર 25 દિવસના 3 નાના ગલૂડિયાં છે, જે હવે માતા વગરના થઈ ગયા છે. તેમણે રોષ વ્યક્ત કરતા કહ્યું કે જો શ્વાનની જગ્યાએ કોઈ માણસ હોત તો શું આ ચાલક આટલી બેદરકારી દાખવત? જે લોકો એક રોટલી પણ નથી આપી શકતા, તેમને કોઈના જીવ લેવાનો કોઈ અધિકાર નથી. આવા બેદરકાર લોકો જ સમાજમાં અકસ્માતની ઘટનાઓને પ્રોત્સાહન આપે છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:53 pm

વિપક્ષનો આક્ષેપ:અમદાવાદમાં પ્રદૂષિત પાણીના 26 હાઇરિસ્ક વિસ્તાર, રોગચાળો વધ્યો

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસો સામે આવ્યા છે જેને લઈને રાજ્ય સરકાર હવે જાગૃત થઈ છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ રોગચાળો વધી રહ્યો હોવાનો આક્ષેપ વિપક્ષના નેતા દ્વારા કરવામાં આવ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં બહેરામપુરા વિસ્તારમાં પ્રદૂષિત પાણી આવી રહ્યું છે અને લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા હોવાનું જણાવ્યું હતું. શહેરમાં પાણીના પોલ્યુશનની સમસ્યા વકરીવિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, દેશમાં સ્વચ્છ સિટી તરીકે ગણાતા મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં પાણીમાં પોલ્યુશન આવવાને કારણે મોટી સંખ્યામાં લોકો ભોગ બન્યા છે અને કેટલાક લોકો મૃત્યુ પણ પામ્યા છે. આ દુ:ખદ ઘટના તંત્ર તથા સત્તાધીશોની બેદરકારીને કારણે થઈ છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ પાણીના પોલ્યુશનની સમસ્યા દિન-પ્રતિદિન વકરતી જાય છે. વિવિધ વિસ્તારોમાં પ્રદૂષિત પાણી આવતું હોવાનો આક્ષેપશહેરના બહેરામપુરા વિસ્તારમાં પરીક્ષિતલાલનગર, ઊંટવાડી ચાલી, સાંકળચંદ મુખીની ચાલી એવા અલગ અલગ વિસ્તારોમાં પ્રદૂષિત પાણી આવી રહ્યું છે. ખાસ કરીને 26 જેટલા હાયરેસ્ટ એરિયા છે જેની અંદર પ્રદૂષિત પાણી આવી રહ્યું છે. સમગ્ર શહેર પાણીજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. નાના બાળકોથી લઈને વયોવૃધ્ધ નાગરિકો ટાઈફોઈડ, કોલેરા ઝાડા-ઉલ્ટી જેવા પાણી જન્ય રોગોના શિકાર બની રહયાં છે. ભાજપના સત્તાધીશોની મુકપ્રેક્ષક બની ખોટી વાહવાહીશહેરમાં ઠેર ઠેર કલોરીન ટેસ્ટ નીલ આવે છે. અમદાવાદ શહેરમાં 150થી વધુ સ્થળો કાયમી દુષિત પાણીની સમસ્યાવાળા સ્થળો છે. દુષિત પાણીમાં પણ વિવિધ પ્રકારના રોગોના વાયરસો હોવાનું માલુમ પડ્યું છે અને તંત્ર તથા ભાજપના સત્તાધીશો મુકપ્રેક્ષક બની ખોટી વાહવાહી કરી રહ્યાં છે. પ્રજાને પ્રાથમિક સુવિધા અપાઈ શકતા નથી. 5 વર્ષમાં વોટર પોલ્યુશનની 3.17 લાખ ઓનલાઇન ફરિયાદોવર્ષ 2021થી સને 2025 સુધીમાં એટલે કે છેલ્લા 5 વર્ષમાં વોટર પોલ્યુશન બાબતે 3.17 લાખ જેટલી ઓનલાઇન ફરિયાદો થઈ છે. જેમાં ખાસ કરીને કોટ વિસ્તાર તથા ગામતળના વિસ્તારોમાં વારંવાર પાણીમાં પોલ્યુશન આવવાના બનાવો બને છે. શહેરની વર્ષો જુની લાઈનો ઠેર ઠેર સડી જવા અથવા તુટી જવા પામી છે. નાગરિકોને પાયાની જરૂરિયાતો આપવા કોંગ્રેસની માગઅમદાવાદ શહેરના આંગણે કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિક ગેમ્સનું આયોજન થાય તે પહેલાં અમદાવાદ શહેરના નાગરિકોને પાયાની જરૂરિયાતો તથા તેની સમસ્યાઓ બાબતે તાકીદે ધ્યાન આપી જરૂરી કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા માગણી કરવામાં આવી છે. તમામ ઝોનમાં પાણીની પાઇપલાઇન બદલવામાં આવીવિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણના આક્ષેપ પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, વિપક્ષ દ્વારા ખોટા આરોપો કરવામાં આવી રહ્યા છે. આ આરોપો પાયા વિહોણા છે. મહાનગરપાલિકામાં 7 ઝોનની અંદર કામો હાલમાં ચાલી રહ્યા છે. તદ્દ ઉપરાંત પૂર્ણ પણ થયા છે. મધ્ય અને તમામ ઝોનમાં પાણીની પાઇપલાઇન બદલવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વિપક્ષના આક્ષેપોને વખોડ્યાપાણીના સેમ્પલ એનો ચેકિંગ પણ મોનિટરિંગ સતત કરવામાં આવતું હોય છે. મહાનગરપાલિકામાં જે પીવાનું પાણી લોકોને પહોંચાડવામાં આવે છે. તેના સેમ્પલ લઇ તેની ચકાસણી પણ કરવામાં આવે છે. વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને આ આક્ષેપોને હું વખોડુ છું.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:53 pm

કરમસદ હોસ્પિટલમાં જટિલ કિડની કેન્સરની સફળ સર્જરી:ગાંઠ લોહીની મુખ્ય શિરા અને લીવર સાથે જોડાયેલી હતી

કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખાતે મલ્ટી સ્પેશિયાલિટી ટીમ દ્વારા કિડનીના જટિલ કેન્સર (રીનલ સેલ કાર્સિનોમા)ની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે. આ ગાંઠ લોહીની મુખ્ય શિરામાં વિસ્તરેલી હતી અને લીવર સાથે જોડાયેલી હતી, જેને એક દુર્લભ અને પડકારજનક કેસ માનવામાં આવતો હતો. આણંદના 49 વર્ષીય વતનીને પેટમાં દુઃખાવો થતાં ગંભીર હાલતમાં નડિયાદ હોસ્પિટલમાંથી શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. પ્રારંભિક તપાસમાં તેમની કિડનીમાં જીવલેણ ગાંઠ હોવાનું નિદાન થયું હતું, જે લોહીની શિરા (ટ્યુમર થ્રોમ્બસ)માં પણ વિસ્તરેલી હતી. રીનલ સેલ કાર્સિનોમામાં ગાંઠનું આ પ્રકારે વિસ્તરણ અસામાન્ય છે, ખાસ કરીને જ્યારે તે નસોની અંદર લોહી ગંઠાઈ જાય અને લીવર સાથે ચોંટાયેલી હોય. આવા કેસની સારવાર કરવી અત્યંત પડકારજનક હોય છે. યુરોલોજીસ્ટ ડો. કૌશલ પટેલે જણાવ્યું કે, આવા કેસનું ચોક્કસ નિદાન ન કરવામાં આવે તો કેન્સરની ગાંઠને શિરામાં લોહીની ગાંઠ (બ્લેન્ડ થ્રોમ્બસ)થી અલગ પાડવી મુશ્કેલ બની શકે છે. આ માટે એડવાન્સ ઇમેજિંગની જરૂર પડે છે, કારણ કે ખોટું અર્થઘટન સારવારના નિર્ણયોને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. આ કેસમાં ગાંઠ લીવરની નજીકથી લોહીની શિરામાં વિસ્તરેલી હતી. આ જટિલતાને ધ્યાનમાં રાખીને, યુરોલોજીસ્ટ ડો. કૌશલ પટેલ અને ડો. પ્રિયેશ પટેલ, વાસ્ક્યુલર સર્જન ડો. જયેશ પટેલ, ઓન્કોસર્જન ડો. જી.સી. રઘુનંદન અને એનેસ્થેસિયોલોજીસ્ટ ડો. ઉષ્મા પરીખની ટીમે સંકલિત અભિગમ અપનાવ્યો. આસપાસના માળખાને ધ્યાનમાં રાખીને કિડનીની કેન્સરની ગાંઠ અને શિરામાં લોહીની ગાંઠને સફળતાપૂર્વક સર્જરી દ્વારા દૂર કરવામાં આવી. પ્રક્રિયા દરમિયાન પીડા નિયંત્રણ અને હિમોડાયનેમિક સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે સેન્ટ્રલ લાઇન આધારિત એનેસ્થેસિયા આપવામાં આવ્યું હતું. ડો. રઘુનંદને જણાવ્યું હતું કે, શસ્ત્રક્રિયા કોઈપણ ગૂંચવણ વિના પૂર્ણ થઈ હતી અને દર્દીની સ્થિતિ સામાન્ય થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:49 pm

23 વર્ષથી હત્યાના ગુનામાં ફરાર સુરતનો આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો:જૂની અદાવતમાં ત્રિશૂળના ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા કરી ફરાર હતો, ડમ્પર ડ્રાઈવર બનીને છુપાવી હતી ઓળખ

સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2003માં થયેલી એક ચકચારી હત્યાના ગુનામાં છેલ્લા 23 વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. જૂની અદાવતમાં ત્રિશુળના ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા કરાઈ હતી.સુરત પોલીસની ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઓપરેશન પાર પાડી આરોપીને મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી દબોચી લીધો છે. લાંબા સમયથી કાયદાના હાથમાંથી બચવા માટે આરોપી પોતાનું ઠેકાણું બદલી રહ્યો હતો. 2003માં હત્યા કર્યા બાદ આરોપી સુરતથી ફરાર પકડાયેલ આરોપીની ઓળખ કુંજ ઉર્ફે સંજય ઉર્ફે સંજુ બૈજનાથ ખેરવાર (કુંભાર) તરીકે થઈ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, 2003માં હત્યા કર્યા બાદ તે સુરત છોડીને ભાગી ગયો હતો અને પોલીસ પકડથી બચવા માટે મહારાષ્ટ્રના મીરારોડ, કાશીમીરા વિસ્તારમાં સ્થાયી થયો હતો. ત્યાં તે પોતાની ઓળખ છુપાવીને ડમ્પર ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને પોતાના પરિવાર સાથે જ રહેતો હતો. જૂની અદાવત રાખીને ખેલ્યો હતો હત્યાનો ખેલઆ કેસની વિગત એવી છે કે, વર્ષ 2003માં આરોપી સંજય ઉર્ફે સંજુએ તેના અન્ય સાથીદારો જગદીશ ઉર્ફે જગા અને કમલેશ કાઠીયાવાડી સાથે મળીને વિપુલ રાદડીયા નામની વ્યક્તિની હત્યા કરી હતી. અગાઉ વિપુલ રાદડીયાએ જગદીશને નેપાળમાં ચપ્પુ મારવાનો પ્રયાસ કર્યો હતો, જેની અદાવત રાખીને આરોપીઓએ વિપુલને રિક્ષામાં બેસાડી પુણા-કુંભારીયા રોડ પર સપ્તર્ષી રૉ હાઉસ સામેની ખુલ્લી જગ્યામાં લઈ ગયા હતા. આરોપીએ ત્રિશૂળ વડે 7-8 ઉપરાછાપરી ઘા ઝિંક્યા હતાહત્યાના ઈરાદે કરવામાં આવેલા આ હુમલામાં આરોપીઓએ ક્રૂરતાની હદ વટાવી હતી. જાહેર રોડ પર આરોપીઓએ નાના ત્રિશુળ વડે વિપુલના માથાના ભાગે 7-8 ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે વિપુલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ભયાનક કૃત્ય બાદ આરોપી સંજય પોલીસને ચકમો આપીને રાજ્ય બહાર નાસી છૂટ્યો હતો. પોલીસની એક મહિનાની મહેનત લાવી રંગઆરોપીને પકડવા માટે પોલીસની ટીમે છેલ્લા એક મહિનાથી સઘન તપાસ શરૂ કરી હતી. સૌપ્રથમ આરોપીના મૂળ વતન ઉત્તર પ્રદેશના જોનપુર ખાતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તે 23 વર્ષથી વતનમાં આવ્યો જ નથી. ટેક્નિકલ અને હ્યુમન સોર્સની મદદથી જાણવા મળ્યું કે, તે થાણેના કાશીમીરા વિસ્તારમાં માટીનું ડમ્પર ચલાવે છે અને ત્યાં શંકર ભગવાનના મંદિર પાસેના મકાનમાં રહે છે. ચોક્કસ માહિતીના આધારે પોલીસે મીરારોડ પૂર્વમાં દરોડો પાડી આરોપી સંજયને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. આરોપીએ પૂછપરછમાં કબૂલાત કરી હતી કે, તે પોલીસથી બચવા માટે જ પરિવાર સાથે ત્યાં સેટલ થઈ ગયો હતો. હાલમાં આ આરોપીનો કબજો કાપોદ્રા પોલીસને સોંપવાની અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:26 pm

પીએમ પોષણ યોજના અંતર્ગત કેન્દ્ર સંચાલકની હંગામી ભરતી:પાલનપુર ગ્રામ્યમાં 23 ફેબ્રુઆરી 2026 સુધી અરજી કરી શકાશે

પીએમ પોષણ યોજના અંતર્ગત પાલનપુર (ગ્રામ્ય) વિસ્તારમાં કેન્દ્ર સંચાલકની હંગામી ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી કુંભાસણ પગાર કેન્દ્ર શાળા (કુંભાસણ) અને રામપુરા (સામઢી મોટા વાસ) પગાર કેન્દ્ર શાળા (રામપુરા (સામઢી)) ખાતે કરવાની છે. લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે અને ઉચ્ચક માનદ વેતનના ધોરણે ભરવામાં આવશે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ-10 (એસ.એસ.સી.) પાસ છે. જો એસ.એસ.સી. પાસ ઉમેદવાર ઉપલબ્ધ ન હોય, તો ધોરણ-7 પાસને પણ તક અપાશે. ઉમેદવારની ઉંમર મર્યાદા 20 થી 60 વર્ષની રહેશે. સ્થાનિક, વિધવા અને ત્યક્તા મહિલા ઉમેદવારોને આ ભરતીમાં અગ્રતા આપવામાં આવશે. અરજદારોએ મામલતદાર કચેરી, પાલનપુર (ગ્રામ્ય) માંથી અરજી ફોર્મ મેળવીને તા. 23 ફેબ્રુઆરી 2026 સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી મોકલવાની રહેશે. આ સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં. અરજી સાથે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની ખરી નકલ, ઉંમરનો પુરાવો (એલ.સી.), ઓળખપત્ર (આધારકાર્ડ/મતદાર કાર્ડ/રેશનકાર્ડ), જાતિ પ્રમાણપત્ર, તબીબી નિરોગી હોવાનું પ્રમાણપત્ર, પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર (ફોજદારી ગુનો ન હોવાનો પુરાવો), આવકનો દાખલો, અને જો લાગુ પડે તો ત્યક્તા/વિધવા હોવાનો દાખલો જેવા જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે. આ અંગેની વધુ વિગતો અને શરતો માટે અરજદારો મામલતદાર કચેરી, પાલનપુર (ગ્રામ્ય) નો સંપર્ક કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:21 pm

ગુજરાત ગ્રામીણ બેંકના નિવૃત્ત કર્મચારીઓનું સ્નેહમિલન:ગાંધીનગરમાં બેંકના સુવર્ણ જયંતિ વર્ષ પ્રસંગે ખાસ સંમેલન યોજાયું

ગુજરાત ગ્રામીણ બેંકના નિવૃત્ત કર્મચારીઓ અને અધિકારીઓના મંડળ દ્વારા બેંકના સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે ગાંધીનગરમાં એક સ્નેહમિલન અને જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સોમવારે સેક્ટર-12 સ્થિત ડૉ. આંબેડકર ભવન ખાતે યોજાયો હતો. આ અધિવેશનમાં રાષ્ટ્રીય સ્તરના નેતાઓ વેંકટેશ્વર રેડ્ડી અને ગણપથી હેગડે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગુજરાત ગ્રામીણ બેંક નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ વનરાજસિંહ જાડેજા અને જનરલ સેક્રેટરી વી.આર. ચાવડા પણ હાજર રહ્યા હતા. ગાંધીનગરથી મેનેજર પદેથી નિવૃત્ત થયેલા પ્રદીપ સોલંકી સહિત અન્ય હોદ્દેદારો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી 260થી વધુ નિવૃત્ત કર્મચારીઓ અને અધિકારીઓએ આ સંમેલનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, જે બેંકના પચાસ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીનો એક ભાગ હતો.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:21 pm

વલસાડ પોલીસ સ્ટેશનમાં હોબાળો કરનાર ટ્રાન્સજેન્ડરે માફી માગી:દારૂના નશામાં ગેરવર્તન, પોલીસ ફરજમાં અડચણ ઊભી કરવા બદલ ગુનો નોંધાયો

વલસાડમાં એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિએ રૂરલ અને સિટી પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો મચાવ્યો હતો. દારૂના નશામાં ગેરવર્તન અને પોલીસની ફરજમાં અડચણ ઊભી કરવા બદલ તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. કાયદાનું ભાન થતાં આરોપીએ પોલીસ વિભાગની જાહેરમાં માફી માંગી હતી. આ ઘટના 3 જાન્યુઆરીની રાત્રીએ બની હતી. ઝોયા ઉર્ફે ઝુબેર મંજુરઅલી શેખ (ઉં.વ. 27, રહે. ધરમપુર) નામના ટ્રાન્સજેન્ડર વ્યક્તિએ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં સૌરવ નાયકા સાથે ઝપાઝપી કરી હતી. તેમજ તેણે ગૌતમ નાયકાને જાહેરમાં અપશબ્દો બોલી, લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી દારૂના નશામાં હોય તેણે સમગ્ર પોલીસ મથકમાં હોબાળો મચાવ્યો હતો. પોલીસે તેને લોકઅપમાં મૂક્યા બાદ તેણે કપડાં વડે ફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ સ્ટાફે સમયસર હસ્તક્ષેપ કરી તેને બચાવ્યો હતો. આ ઘટના બાદ આરોપીએ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં પણ આશરે ત્રણ કલાક સુધી તોફાન મચાવ્યું હતું. 4 જાન્યુઆરીની વહેલી સવારે તેની તબિયત લથડતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર બાદ તબિયત સુધરતા સિટી પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ મહિલા પોલીસ કર્મચારીઓ અને મહિલા અરજદારોની હાજરીમાં પોતાના કપડાં ઉતારી જાહેરમાં બીભત્સ વર્તન કર્યું હતું. તેણે પોલીસની કાયદેસરની ફરજમાં અડચણ ઊભી કરી પોલીસ સ્ટેશનમાંથી બહાર દોડી જઈ જાહેર રોડ પર અર્ધનગ્ન હાલતમાં સૂઈ જઈ વાહનવ્યવહારને અવરોધ્યો હતો. તેની પાસે દારૂ પીવાની કોઈ પાસ-પરમિટ પણ નહોતી. આ સમગ્ર ઘટનાને પગલે વલસાડ રૂરલ અને સિટી પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા-2023, પ્રોહિબિશન એક્ટ અને ગુજરાત પોલીસ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. કાયદાનું ભાન થતાં ઝોયા ઉર્ફે ઝુબેર શેખે પોલીસ વિભાગની જાહેરમાં માફી માંગી હતી. વલસાડ સિટી પોલીસે હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:15 pm

ખારેલ બ્રિજ નીચેથી રૂ. 2.51 લાખનો દારૂ ઝડપાયો:બે મહિલા સહિત ત્રણ આરોપી પકડાયા, દમણથી જથ્થો મંગાવાયો હતો

નવસારી જિલ્લામાં પ્રોહિબિશન પ્રવૃત્તિઓ ડામવા પોલીસ એક્શન મોડમાં છે. ગણદેવી પોલીસે બાતમીના આધારે ખારેલ આઉટ પોસ્ટ પાસે વોચ ગોઠવી રૂ. 2.51 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ અધિક્ષકની સૂચનાને પગલે ગણદેવી પોલીસે દારૂની હેરફેર અને વેચાણ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા કાર્યવાહી કરી હતી. ખારેલ ઓવરબ્રિજ નીચેથી પ્લાસ્ટિકની થેલીઓમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને ઉભેલી બે મહિલા અને એક પુરુષને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 2,51,280/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગણદેવી પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ ખારેલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ અને યોગેશભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, ખારેલ બ્રિજ નીચે ત્રણ વ્યક્તિઓ શંકાસ્પદ થેલીઓ સાથે ઉભા છે. આ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ.રાઠોડના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ અને પંચો સાથે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન થેલીઓમાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની વ્હિસ્કી, રમ અને બિયરના ટીન મળી આવ્યા હતા. કુલ 798 નંગ દારૂની બોટલો અને ટીન જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત રૂ. 2,51,280/- આંકવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓમાં જયશેનભાઈ લક્ષ્મણભાઈ દાલાબહેરા (65, રહે. ઉન પાટીયા, સુરત, મૂળ ઓડિશા), ફરહાનાબેન અબ્બાસ અહમદ શેખ (66, રહે. નવસારી, મૂળ જલાલપોર) અને સરોજબેન ભાનુભાઈ કો.પટેલ (56, રહે. નવસારી, મૂળ ગણદેવી) નો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ દારૂનો જથ્થો નવસારીના કબીલપોર વિસ્તારના કુમાર પ્રેમમાધવ પેરાશ્વામી નામના ઈસમે મંગાવ્યો હતો. આ જથ્થો દમણ ખાતેથી કોઈ અજાણ્યા ઈસમે ભરી આપ્યો હતો. પોલીસે આ બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસ શોધી કાઢવામાં ગણદેવી PI ડી.એમ.રાઠોડ, PSI પી.ડી.લુણસર, હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ, યોગેશભાઈ તેમજ કોન્સ્ટેબલ નરેશભાઈ, વિજયસિંહ અને વિપુલસિંહની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ PSI પી.ડી.લુણસરને સોંપી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:04 pm

ટાઈફોઈડ કેસમાં એક બાળકનું શંકાસ્પદ મોત, બે ગંભીર:બેડ ખૂટી પડતા વધારાનો વોર્ડ શરૂ, 152 સારવાર હેઠળ, 50 પોઝિટિવ; ગાંધીનગરમાં દૂષિત પાણીનો હાહાકાર

ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ટાઈફોઈડનો ભારે હાહાકાર મચ્યો છે, જેમાં એક બાળકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે અને અન્ય બે બાળકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. હાલમાં 152 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 50 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રોગચાળાની ગંભીરતા જોતા હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા સત્તાધીશોએ વધારાનો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે. પીવાના પાણીમાં ગંદકી ભળવાને કારણે ફેલાયેલા આ જીવલેણ રોગચાળાને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે અને આરોગ્ય તંત્ર દોડતું થયું છે. બાળ વિભાગમાં પથારીઓ ખૂટી, વધારાનો વોર્ડ શરૂ કરાયોગાંધીનગર ​સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો એટલો વધી ગયો છે કે બાળ વિભાગમાં પથારીઓ ખૂટી પડી છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી એક અલાયદો વધારાનો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લાના અન્ય આરોગ્ય કેન્દ્રોમાંથી પીડિયાટ્રીશિયન અને નિષ્ણાત તબીબોની ટીમને ગાંધીનગર સિવિલ ખાતે તેડાવવામાં આવી છે. 'એડમિટ કર્યાને હજુ ચાર દિવસ પણ નહોતા થયા'આ અંગે મૃત બાળકીના પિતા રાજુ કનૌજિયાએ કહ્યું કે, દીકરી બીમાર હતી, અમે ત્યાં સેક્ટર 29માં દવા કરાવી હતી. ત્યારબાદ ત્યાંથી રિપોર્ટ કરાવ્યો તો ટાઈફોઈડનો તાવ નીકળ્યો. પછી તેઓએ કહ્યું કે સિવિલમાં લઈ જાવ, એટલે અમે સિવિલમાં એડમિટ કરી દીધી. એડમિટ કર્યાને હજુ ચાર દિવસ પણ નહોતા થયા અને આ ઘટના ઘટી ગઈ. ડોક્ટરે ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી, તેને બોટલ પણ ચઢાવવામાં આવી હતી. અત્યાર સુધીમાં 20,800થી વધુ ઘરોમાં સર્વે પૂર્ણ​મુખ્યત્વે સેક્ટર 24, 25, 26, 27 તેમજ આદીવાડા અને GIDC વિસ્તારમાં દૂષિત પાણીના કારણે આ રોગચાળો વકર્યો છે. કોર્પોરેશનની ટીમો દ્વારા અત્યાર સુધીમાં 20,800થી વધુ ઘરોમાં સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે.​ 90,000ની વસ્તીને આરોગ્ય લક્ષી તપાસ હેઠળ આવરી લેવાઈ છે. જ્યારે ​30,000 ક્લોરિન ટેબલેટ અને 20,600 ORS પેકેટનું વિતરણ કરાયું છે. ગાંધીનગર 'ટાઈફોઈડ'ના ડેન્જર ઝોનમાં:20 જાન્યુઆરી સુધીમાં કેસનો આંકડો 350ને પાર થવાની દહેશતગાંધીનગરમાં ઈન્દોરવાળી થતા બે દિવસમાં 4 જાન્યુઆરી સુધીમાં જ 119 જેટલા ટાઈફોઈડના કેસ સામે આવતા તંત્રમાં દોડધામ મચી. 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા હાલ 94 દર્દીઓ સારવાર હેઠળ છે. જો કે, ટાઈફોઈડના ઈન્ક્યુબેશન પિરિયડને જોતા આગામી 20મી જાન્યુઆરી સુધીમાં કેસનો આંક 350ને પાર થવાની દહેશત સેવાઈ રહી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) પાણી શુદ્ધિકરણના 7 સ્ટેપ છતાં ટાઇફોઇડ વિસ્ફોટ કેમ થયો?:મુખ્ય લાઈનોમાં ક્યાંક ગટરનું પાણી ભળી રહ્યું હોવાની શક્યતાપાટનગરના જૂના સેક્ટરોમાં ટાઇફોઇડ અને પાણીજન્ય રોગચાળાએ લીધેલા ભયાનક ભરડા વચ્ચે ‘ચરેડી વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર’ શંકાના દાયરામાં આવ્યું છે. સેક્ટર 14થી 30માં દરરોજ 65 MLD પાણી પૂરું પાડતા આ સેન્ટરની દિવ્ય ભાસ્કરની ટીમે રૂબરૂ મુલાકાત લઈને ગ્રાઉન્ડ લેવલની સ્થિતિ જાણી હતી. એક તરફ પ્લાન્ટમાં આધુનિક પદ્ધતિથી શુદ્ધિકરણનો દાવો કરાઈ રહ્યો છે, તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં માસૂમ બાળકોના ખાટલા ઉભરાઈ રહ્યા છે.(વાંચો સંપૂર્ણ સમાચાર)

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:00 pm

પાવરગ્રીડ લાઈનનું કામ અટકાવવા 8 તાલુકાના ખેડૂતોએ કલેક્ટર કચેરી ગજવી:'જો ખેડૂત સે ટકરાયેગા, મિટ્ટી મેં મિલ જાયેગા'ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન, પોલ દીઠ 2 કરોડના વળતરની માંગ

સુરત જિલ્લામાં પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન નાખવાની કામગીરી સામે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા અને કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂત સમાજ દ્વારા પાવર ગ્રીડ લાઇનના કામને અટકાવવા અને વ્યાજબી વળતરની માંગ સાથે કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં ખેડૂતોનો આક્રમક મિજાજ જોવા મળ્યો હતો. ખેડૂતોની કિંમતી જમીન પરથી 765 KVની મહાકાય હાઈ વોલ્ટેજ લાઈન આ આંદોલનમાં દક્ષિણ ગુજરાતના મુખ્ય 8 તાલુકાઓ જેવા કે ઓલપાડ, કામરેજ, ચોર્યાસી, માંગરોળ, બારડોલી, પલસાણા, મહુવા અને માંડવીના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર અને તંત્ર દ્વારા ખેડૂતોની કિંમતી જમીન પરથી 765 KVની મહાકાય હાઈ વોલ્ટેજ લાઈન પસાર કરવામાં આવી રહી છે પરંતુ, તેના બદલામાં ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવતું નથી. જમીન ગુમાવનારા ખેડૂતોમાં પોતાના ભવિષ્યને લઈને ભારે ચિંતા પ્રવર્તી રહી છે. આ લડત છેલ્લા બે વર્ષથી ચાલી રહી છેખેડૂત આગેવાન રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતના 14 જિલ્લાઓમાંથી આ લાઈન પસાર થઈ રહી છે અને આ લડત છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કલેક્ટરે DLCC (જિલ્લા સ્તરીય વળતર સમિતિ) દ્વારા ખેડૂતોની પરામર્શ વગર જ અત્યંત નજીવી કિંમત નક્કી કરી દીધી છે. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે, આ અન્યાયી DLCC હુકમ તાત્કાલિક રદ કરવામાં આવે અને ખેડૂતોના હિતમાં નવો નિર્ણય લેવામાં આવે. સરકારે ખેડૂતોની જમીનના જંત્રીના ચાર ગણા ભાવે વળતર ચૂકવવું જોઈએવળતરના મુદ્દે ખેડૂતોએ સરકાર સામે કડક શરતો મૂકી છે. ખેડૂતોની માંગ છે કે જો સરકારને તેમની જમીન જોઈતી હોય તો નવા જમીન સંપાદન કાયદા મુજબ જંત્રીના ચાર ગણા ભાવે વળતર ચૂકવવું જોઈએ. અન્યથા, ખેડૂતોની જમીનનો ઉપયોગ કરવા બદલ તેમને નિયમિત ભાડું આપવામાં આવે અથવા તો દરેક વીજ પોલ દીઠ ખેડૂતને 2 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે. આ માંગણીઓ સંતોષાયા વિના લાઈન નાખવાનું કામ ખેડૂતો કોઈપણ સંજોગોમાં આગળ વધવા દેશે નહીં. ખેડૂતો હવે આરપારની લડાઈ લડવા તૈયાર છેવિરોધ પ્રદર્શન દરમિયાન કલેક્ટર કચેરીનું પ્રાંગણ 'જય જવાન, જય કિસાન' અને 'આવાજ દો હમ એક હૈ' ના નારાઓથી ગાજી ઉઠ્યું હતું. ખેડૂતોએ 'જો ખેડૂત સે ટકરાયેગા, મિટ્ટી મેં મિલ જાયેગા' જેવા સૂત્રોચ્ચારો કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોમાં એટલી હદે નારાજગી છે કે, તેઓ હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. ખેડૂતોએ એકસૂરે જણાવ્યું હતું કે તેઓ પોતાની જમીન પર હક જતો કરવા તૈયાર નથી કચ્છથી નવસારી સુધીના તમામ નેશનલ હાઇ-વે પર ચક્કાજામની ચીમકીઅંતમાં, ખેડૂત સમાજે સરકારને આખરી ઓલ્ટિમેટમ આપતા જણાવ્યું હતું કે, જો ટૂંક સમયમાં તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. આગામી દિવસોમાં ગુજરાત સંઘર્ષ સમિતિ હેઠળ 23 જેટલા સંગઠનો સાથે મળીને કચ્છથી નવસારી સુધીના તમામ નેશનલ હાઇવે ચક્કાજામ કરવાની ચીમકી આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 4:58 pm

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાલે નવા રજીસ્ટ્રાર મળશે:આંબેડકર યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. જાડેજા મોખરે, દિવ્યાંગ આસિસ્ટન્ટ રજીસ્ટ્રારનું નામ પણ જાહેર થશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મંગળવારે નવા કાયમી રજીસ્ટ્રાર મળી જશે. યુનિવર્સિટીમાં 3 જાન્યુઆરીના કુલપતિની અધ્યક્ષતામાં નવા કુલસચિવની નિમણૂક માટેના ઇન્ટરવ્યૂ ગોઠવાયા બાદ હવે કાયમી રજીસ્ટ્રાર અને દિવ્યાંગ આસિસ્ટન્ટ રજીસ્ટ્રારનું નામ જાહેર કરવા માટે તા.6 જાન્યુઆરીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક મળશે. જેમાં અમદાવાદની આંબેડકર યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. જાડેજાનું નામ મોટાભાગે ફાઈનલ છે જોકે તેમની સાથે સોમનાથ યુનિવર્સિટીના વિવાદિત ડૉ.જાદવની સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર ડૉ. ધામેચા રેસમાં છે. નોંધનીય છે કે યુનિવર્સિટીમાં 10 વર્ષ સુધી કાયમી કુલસચિવની જગ્યા ખાલી રહી હતી. છેલ્લે વર્ષ 2023 માં કાયમી રજીસ્ટ્રાર તરીકે રૂપારેલીઆની નિમણૂક થઈ હતી પરંતુ તેમણે માત્ર ચાર મહિનામાં રાજીનામુ આપી દીધુ હતુ. મળતી વિગતો મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર બનવાની રેસમાં ત્રણ વહીવટી અધિકારીઓ છે. જેમાં આ જ યુનિવર્સિટીના પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર ડૉ.ધામેચા, ડૉ.જાદવ અને આંબેડકર યુનિવર્સિટીના કાયમી કુલસચિવ ડૉ. જાડેજા છે. જોકે આ ત્રણેયમાંથી જાડેજાનું પલડુ ભારે છે. જેઓ રાજકોટની ખાનગી કોલેજમાં લેક્ચરર રહી ચૂક્યા છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની જેમ જ તેમનો પણ વિષય ફિઝિક્સ છે. ગત તા.3 જાન્યુઆરીના કુલસચિવની નિમણૂક માટેના ઇન્ટરવ્યૂમાં કુલપતિ ડૉ. ઉત્પલ જોશી, રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ નિરંજન પટેલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય ડૉ. મહેશ જીવાણી, અનામત કેટેગરીના પ્રતિનિધિ તરીકે અર્થશાસ્ત્ર ભવનના હેડ ડૉ. નવીન શાહ હતા. જે બાદ તા.6 જાન્યુઆરીના બપોરે 11 વાગ્યે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને 1 વાગ્યે બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળશે. જેમાં બંધ કવરમાંથી સિલેક્શન કમિટીએ પસંદ કરેલા ઉમેદવારનું નામ રજીસ્ટ્રાર તરીકે જાહેર થશે. જેમાં ડૉ. અજયસિંહ જાડેજાનું નામ જહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર તરીકે દિવ્યાંગ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વર્ષ 2023 ના ઓગસ્ટ માસમાં 10 વર્ષ બાદ કાયમી કુલસચિવ હરીશ રૂપારેલિઆ મળ્યા હતા. જોકે મહાનગરપાલિકાના સેક્રેટરી તરીકેના તેમના અનુભવી સળંગ ગણવામાં આવતી ન હોવાથી તેમને આર્થિક નુકસાન થતું હતું જેને લીધે માત્ર ચાર મહિનામાં જ તેમને કાયમી કુલસચિવ તરીકે રાજીનામુ આપી દીધું. જેને લીધે ફરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાયમી રજીસ્ટ્રાર વિહોણી બની ગઈ. જે બાદ છેલ્લા 2 વર્ષથી યુનિવર્સિટીના વહીવટનું ગાડું ઇન્ચાર્જના ભરોસે ગબડાવાઇ રહ્યુ છે. જોકે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી રજીસ્ટ્રાર બનવા માટેના ઈન્ટરવ્યુ ગોઠવાયા હતા. જેમાં 3 ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હાલના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર અને પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર મનીષ ધામેચા રેસમાં છે. જેમની વર્ષ 2003 માં યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર તરીકે નિયુક્તિ થઈ હતી. જે બાદ વર્ષ 2007 માં પ્લાનિંગ એન્ડ ઓફિસર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. જેમના સમયગાળામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને RUSHA અને PM USHA સહિતની રૂ.500 કરોડ જેટલી ગ્રાન્ટ મળી છે. જ્યારે આ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર બનવા માટેના પ્રબળ દાવેદાર અમદાવાદની બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કાયમી કુલસચિવ ડૉ. અજયસિંહ જાડેજા હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. જેઓ અગાઉ રાજકોટની ક્રાઇસ્ટ કોલેજમાં ફિઝિક્સના લેક્ચરર હતા. જે બાદ જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હતા. જે બાદ હાલ તેઓ આંબેડકર યુનિવર્સિટીમાં રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે. આ સિવાયના અન્ય ઉમેદવાર દશરથ જાદવ છે. જેઓ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે. જેમની વર્ષ 2017 18 માં રજીસ્ટ્રાર તરીકે નિયુક્તિ થઈ હતી. જોકે તેમની સામે ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો થતા સરકાર દ્વારા તપાસ કમિટી બનાવવામાં આવી હતી. જે પછી તેમની પાસેથી રજીસ્ટ્રાર તરીકેનું પદ છીનવાઈ ગયુ અને બાદમાં તેમને ફરી ડેપ્યુટી રજીસ્ટ્રાર બનાવવામાં આવ્યા. જેથી તેઓ આ રેસમાં પાછળ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. પસંદગી પામનાર ઉમેદવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 13 મા કાયમી રજીસ્ટ્રાર બનશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપનાથી અત્યાર સુધીના કાયમી રજીસ્ટ્રારકાયમી કુલસચિવ - ફરજનો સમયગાળોજે. એમ. મેહતા - 06/09/1966 થી 12/11/1968સ્વ.વી. એમ. દેસાઇ - 23/11/1968 થી 31/08/1986 બી. એફ. શાહ - 01/09/1986 થી 31/12/1986 આર. એ. દેસાઇ - 01/01/1987 થી 30/11/1989 જે. એમ. ઉદાણી - 01/12/1989 થી 30/06/1994 આર. ડી. આરદેશણા - 29/04/1995 થી 31/03/1996એસ. બી. પંડ્યા - 27/07/1996 થી 28/02/1997સ્વ.એલ.જે.પંડ્યા - 05/03/1997 થી 22/03/1998વી. એચ. જોશી - 14/12/2000 થી 31/10/2002એ. પી. રાણા - 24/06/2004 થી 27/07/2005જી. એમ. જાની - 03/05/2007 થી 21/06/2011હરીશ રૂપારેલિઆ - જુલાઈ,2023 થી નવેમ્બર,2023

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 4:36 pm

ગુજરાત યુનિ.ના 74મા પદવીદાન સમારોહમાં 40,245 વિદ્યાર્થીઓને ડિગ્રી-ડિપ્લોમા એનાયત:341 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, મહેમાન સાથે સ્ટેજ પર ફક્ત મનન દાણીને સ્થાન આપતા ચર્ચા શરૂ થઈ

ગુજરાત યુનિવર્સિટીનો 74 પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં 74માં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 જેટલા વિદ્યાશાખાઓના 40,245 વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમાની પદવી એનાયત કરવામાં આવી હતી. 74માં પદવીદાન સમારોહમાં ISROના ચેરમેન વી. નારાયણન ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહ્યા હતા. 341 વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. સ્ટેજ પર મહેમાન સાથે એક જ સિન્ડિકેટ સભ્ય મનન દાણીને સ્થાન આપતા અન્ય સિન્ડિકેટ સભ્યમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. 40,245 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમાની પદવી એનાયત કરાઈ હતીગુજરાત યુનિવર્સિટીના 74માં પદવીદાન સમારોહમાં ઉપસ્થિત મહેમાનના હસ્તે 341 વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં 8 જેટલા વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમાની પદવી એનાયત કરવામાં આવી છે. જેમાં ડિપ્લોમામાં વિનયન વિદ્યાશાખામાં 9256, વિજ્ઞાન વિદ્યાશાખાના 4814, ઇજનેરી વિદ્યાશાખાના 6, કાયદા વિદ્યાશાખાના 2371, તબીબી વિદ્યાશાખાના 899, વાણિજ્ય વિદ્યાશાખાના 19,428, દંત વિદ્યાશાખા 316, શિક્ષણ વિદ્યાશાખા 3155 વિદ્યાર્થીઓને એમ કુલ 40,245 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમાની પદવી એનાયત કરવામાં આવી હતી. સત્તાધીશોએ વ્હાલા-દવલાની નીતિ રાખી હોવાની ચર્ચા ગુજરાત યુનિવર્સિટીના 74માં પદવીદાન સમારોહમાં કેટલાક સિન્ડિકેટ સભ્યો ચર્ચા કરતા જોવા મળ્યા હતા કારણ કે, પદવીદાન સમારોહમાં હાજર મહેમાન સાથે સ્ટેજ પર એક માત્ર સિન્ડિકેટ સભ્ય મનન દાણીને સ્થાન આપવામાં આવ્યું હતું કારણ કે, જે સમયે સિન્ડિકેટ સભ્ય તરીકે મનન દાણીને નિમણૂક થઈ ત્યારે પણ વિવાદ સર્જાયો હતો. કોઈપણ પ્રકારના નિયમોનું પાલન કર્યા વગર સિન્ડિકેટ સભ્ય બનાવી દેવામાં આવ્યો હોવાનો વિવાદ થયો હતો. જેથી, હવે પદવીદાન જેવા મોટા કાર્યક્રમમાં સ્ટેજ પર સ્થાન અપાતા અન્ય સિન્ડિકેટ સભ્યો ચર્ચા કરતા મળ્યા હતા. યુનિ. દ્વારા તૈયાર કરવામાં આવેલી કોફી ટેબલ બુકનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતુંગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ વ્હાલા-દવલાની નીતિ રાખી હોવાની અન્ય સિન્ડિકેટ સભ્યમાં ચર્ચા થઈ હતી. જે-તે વિભાગના ડીનને સ્ટેજ પર જગ્યા આપવામાં ન આવી પરંતુ, મનન દાણીને સ્ટેજ પર જગ્યા મળતા યુનિવર્સિટીની વ્હાલા-દવલાની નીતિ કરવામાં આવતી હોવાની ચર્ચા ચાલી રહી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા કોફી ટેબલ બુકનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. મેડલ આપવાની સાથે-સાથે 33 વિદ્યાર્થીઓને સ્કોલરશીપથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. દરેક ક્ષેત્રમાં ગુજરાતની ધરતીએ અનેક મહાપુરુષ લોકોને જન્મ આપ્યો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, તમે જે પણ લોકો ડિગ્રી મેળવી રહ્યા છો, તે તમામ લોકોને અભિનંદન આપું છું. તમારા માતા-પિતા જેટલું જાણ્યા નથી એટલું તમને ભણાવ્યું છે અને તે લોકો જેવા કપડાં નથી પહેરતા એવા કપડા તે લોકોએ તમને પહેરાવ્યા છે. જેથી, તેમને પણ આ ડિગ્રી મળવાથી ગર્વ થતો હશે. માણસને જ્યારે જન્મ લે અને તેને શિક્ષા ન મળે તો તેનું જીવન વ્યર્થ જાય છે. જે લોકોના કારણ ડિગ્રી મળે છે. તેમના પ્રત્યે કોઈપણ દ્વેષનો ભાવ પેદા ન થાય તે માટે પણ કહેવામાં આવતું હતું. 10 વર્ષ પહેલા દેશમાં હતાશાનું વાતારવરણ પેદા થયું હતું. ગુજરાતની ધરતીએ સમય-સમય પર દેશનું નેતૃત્વ પેદા કરવા માટે લોકોને જન્મ આપ્યો છે. દરેક ક્ષેત્રમાં ગુજરાતની ધરતીએ અનેક મહાપુરુષ લોકોને જન્મ આપ્યો છે. 25 કરોડ લોકો દેશમાં 8 વર્ષમાં ગરીબી રેખામાંથી બહાર આવ્યા છેવધુમાં આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, આજે દેશના ભવ્ય સ્વરૂપ ગુજરાતની ધરતીના સ્વરૂપ સરદાર પટેલને જાય છે. દેશમાં જ્યાં પણ જાઓ ત્યાં નવો જોશ જોવા મળે છે. યુવા પેઢીને નવી શિક્ષા નીતિ માટે નવી પેઢીઓ તૈયાર થઈ રહ્યા છે. આજે આપણા રસ્તાઓ અમેરિકા કરતા પણ ઘણા સારા થઈ ગયા છે. અમેરિકા જેવો દેશ સેટેલાઇટ ઈસરો પાસે મોકલી આપે છે. આપણા દેશમાં અંગ્રેજોના કઈ પણ વસ્તુ બનતી નહોતી. આજે જહાજ અને રેલ્વે સ્ટેશનના સાધનો પણ બની રહ્યા છે. વંદે ભારત ટ્રેન નવી ટેક્નોલોજી સાથે આગળ વધી રહી છે. 11મી અર્થવ્યવસ્થા હતી તે હવે બીજી અર્થવ્યવસ્થા થઈ ગઈ છે. જ્યાં સ્ટાર્ટઅપ માટે કોઈ નેતૃત્વ નહોતું, તે આજે નરેન્દ્ર મોદીએ યુવાનો માટે અનેક આયોજન કર્યા છે. ભારત દેશ 25 કરોડ લોકો દેશમાં 8 વર્ષમાં ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. તમામ દુનિયા આજે ભારત તરફ જોઈ રહ્યા છે. પહેલા પ્રધાનમંત્રી વિદેશ જતા હતા તો તેમને ખૂણામાં બેસાડી દેવામાં આવતા અને ખબર પણ નહતી હોતી કે પ્રધાનમંત્રી વિદેશ ગયા હતા. જિંદગીમાં સફળ થવાનો માત્ર એક રસ્તો છે તે પરિશ્રમ છેવધુમાં આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, વી. નારાયણન જેટલો ઉત્સાહ સૈનિકોમાં જોવા મળે છે. તેનું કારણ એ છે કે, ઓપરેશન સિંદૂર વખતે 22 મિનિટમાં જ મિશન પૂરું થઈ ગયું હતું. આવો અટેક સેનાઓની વિજય અને સિસ્ટમ કઈ રીતે આગળ વધે છે, તેના તરફ ધ્યાન દોરે છે. જિંદગીમાં સફળ થવાનો માત્ર એક રસ્તો છે તે પરિશ્રમ છે પરંતુ, તેના કારણે અડચણ આવશે પરંતુ, તેની સામે લડવાની તાકાત રાખવી પડશે. પરિશ્રમના કારણે બધું જ મળી જશે. ચંદ્રયાન વખતે તકલીફ પડી હતી પરંતુ, પ્રધાનમંત્રીએ તેમની પીઠ થપથપાવી હતી, જે બાદ આજે પરિણામ જે આવ્યું તે દુનિયાએ જોયું હતું. 20- 20 વર્ષના લોકો હાર્ટએટેકનો ભોગ બને છેયુવાનોને બહારનું ન ખાવા માટે સલાહ આપતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જણાવે છે કે, પિત્ઝા બર્ગર જેવી કેટલી ખરાબ વસ્તુઓ લોકો ખાઈ રહ્યા છે. જેનું પરિણામ એ આવ્યું છે કે, આજે નાની ઉંમરના લોકોને હાર્ટએટેક આવી રહ્યા છે. હું હોસ્પિટલમાં ચેકઅપ માટે ગયો તો ડોક્ટરે કીધું છેલ્લા 3 વર્ષમાં મારી સામે કેન્સરના દર્દીઓ ડબલ કરતા પણ વધુ થઈ ગયા છે. 20- 20 વર્ષના લોકો હાર્ટએટેકનો ભોગ બને છે. 30 વર્ષ પહેલા કોઈ હાર્ટએટેકને જાણતા જ નહતા. યુવાઓએ દેશનું સ્વાભિમાન છે તેથી તેમણે ખોરાક સુધારવો જોઈએ. જે બાળક માટે દૂધ સંજીવની છે તેમાં પણ ઝેર છે. કારણ કે માતાઓ ખોરાક ખાય છે તે તમામમાં ઝેર હોય છે. ડિગ્રી પ્રાપ્ત કરનાર લોકોએ જે અભ્યાસ કર્યો તે લોકોએ સમાજમાં લઈને સાદુ જીવન જીવવાની સલાહ આપવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 4:29 pm

વરાછામાં 5 કરોડનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અસામાજિક તત્વોનો અડ્ડો:સરદાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઠેર-ઠેર ગંદકી અને દારૂ-બિયરની બોટલો મળી, બે વર્ષથી બંધ રહેતા ખંડેર હાલત

મોટાભાગના વિકાસકાર્યો માટે રાજ્ય અથવા કેન્દ્ર સરકારની ગ્રાન્ટ પર આધાર રાખતી સુરત મહાનગરપાલિકા આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે નવા રસ્તાઓ શોધી રહી છે. જોકે, કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા પ્રોજેક્ટો પર યોગ્ય ધ્યાન ન આપતા મહાનગરપાલિકાને આવક ગુમાવવી પડી રહી છે અને મેન્ટેનન્સનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. આ સાથે ધૂળ ખાતા પ્રોજેક્ટોની હાલત પણ બિસ્માર બની છે. વરાછા ઝોનમાં સ્મીમેર હોસ્પિટલની પાછળ આવેલા સરદાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છેલ્લા પોણા બે વર્ષથી બંધ છે. પરિણામે તેનો મેન્ટેનન્સ ખર્ચ મનપાની તિજોરી પર સતત ભારરૂપ બની રહ્યો છે. આ સાથે સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહે છે. ઠેર ઠેર ગંદકી અને દારૂ તેમજ બિયરની બોટલો પણ જોવા મળી રહી છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે: કોર્પોરેટરવોર્ડ નં. 14ના સ્થાનિક કોર્પોરેટર નરેશ ધામેલીયાએ જણાવ્યું હતું કે, જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ભવ્ય અને સારૂં બન્યું છે એ અમારા વોર્ડમાં આવે છે અને ઘણા સમયથી બંધ હતું. કોઈ ટેકનિકલ ખામી હતી. આગળના જે કોન્ટ્રાક્ટર હતા એ જે છોડીને ગયા હતા એના કારણે જે પ્રોબ્લેમ હતી એ સોલ્વ થઈ છે. અમારા ચેરમેન રાજનભાઈ પટેલ, મેયર દક્ષેશભાઈ માવાણી તેમજ અમારા ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારીએ રસ લઈ અને તાત્કાલિક કેમ ચાલુ થાય એ માટેના તમામ પ્રયાસો કર્યા અને ટૂંક સમયની અંદર આ લોકોની સેવા માટે ચાલુ થઈ જશે એવો ભરોસો છે. ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. કેટલા સમયથી આ નિર્માણ પામ્યું છે?આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લગભગ કોરોના કાળમાં નિર્માણ પામ્યું હતું. કોરોના નડ્યો એટલે જે કોન્ટ્રાક્ટરને કોઈ કારણસર બરાબર ચાલતું નહોતું, કારણ કે કોરોના કાળ હતો. એટલે જે તકલીફ હતી એમને અને પછી ખુલ્લું મૂકીને જતા રહ્યા હતા. પણ અમારા જે નેતાઓ છે એમના પ્રયાસોથી લોકોને સુવિધા વધુમાં વધુ મળે એ હેતુથી ફરી ચાલુ થયું છે. ટૂંક સમયમાં ચાલુ થવાનું છે. કેટલા ખર્ચે બન્યું છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ?ખર્ચ તો ઘણો થયો છે, મારી પાસે આંકડો નથી એનો. કારણ કે આ મારી પહેલા બનેલું છે, જ્યારે પ્રવીણભાઈ અને કાંતિભાઈ કોર્પોરેટર હતા એ સમયે બનેલું છે એટલે આંકડો નથી. પણ એક ભવ્ય છે અને આની અંદર લોકો આવશે કારણ કે મારા વિસ્તારમાં કોઈ આવું (બીજું) નથી, એટલે આવશે. અને આની પ્રેરણા લઈ બીજા વિસ્તારમાં પણ ચાલુ થશે. આ બાબતે કોઈએ સારસંભાળ લીધી જ નથી?ના, એવું સારસંભાળની વાત નથી. કારણ કે તમે જાણો છો કોરોના કાળ હતો અને કોરોના કાળમાં જે કોન્ટ્રાક્ટર કામ કરતા હતા, જે લોકો... અને પછી એને જે કાંઈ પ્રોબ્લેમ હતો વેરા બાબતમાં, જે કાંઈ તકલીફ હતી. પણ હવે સારું ચાલશે. દરેક જગ્યાએ દારૂની બોટલો પણ દેખાય છે, તે બાબતે તપાસ કરી?એમાં એવું છે કે આ એરિયો જે છે ને એ રેલવે કોલોનીની આજુબાજુનો સ્લમ એરિયો છે. સ્લમ છે એટલે મોટાભાગના લોકો અહીં પીતા જ હોય છે. એટલે એરિયો જ એ ટાઈપનો છે. સિક્યુરિટી તો હોય જ છે, પણ છતાં લોકો એરિયો જ એવો છે. કેટલા સમયમાં શરૂ થશે એવું લાગે છે?હવે ટૂંક સમયમાં, માનો કે વધુમાં વધુ મહિનો કે બે મહિનામાં ચાલુ થશે. કારણ કે એની ટેન્ડર પ્રક્રિયા પતી ગઈ છે. અમારા રાજન પટેલ, મેયર અને પ્રવીણ ઘોઘારીએ અંગત રસ લઈ અને કીધું છે કે આપણે જલ્દી શરૂ કરવું છે અને થઈ જશે ચાલુ અને લોકો લાભ લેશે. આ એરિયાના લોકો પર મને ભરોસો છે, વિશ્વાસ છે અને સારું ચાલશે. અમારી પ્રજા પણ સારી છે અને લોકો આવશે, બધાની ડિમાન્ડ પણ છે જ પ્રજાની. કોન્ટ્રાક્ટરનો પાલિકા સાથે મિલકતવેરા-પાણીના બિલ બાબતે વિવાદપાલિકાના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, શહેરીજનોને ઉત્તમ રમતગમત અને આરોગ્ય સંબંધિત સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી આશરે 6 વર્ષ પહેલાં મનપા દ્વારા 5 કરોડના ખર્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ કોમ્પ્લેક્સનું સંચાલન પીપીપી ધોરણે એમપી ફિટનેસ ક્લબ નામની એજન્સીને સોંપવામાં આવ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટ પૂર્ણ થવાની અગાઉ પાલિકા સાથે મિલકતવેરા અને પાણીના બિલ બાબતે વિવાદ સર્જાતા એજન્સીએ સંચાલન છોડી દીધું હતું. પાલિકા દ્વારા બાકી ટેક્સની રિકવરીના પ્રયાસો શરૂહાલ પણ બંને પક્ષ વચ્ચે વિવાદ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. પાલિકા દ્વારા બાકી ટેક્સની રિકવરી માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ વચ્ચે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લાંબા સમયથી બંધ રહેતા તેનાથી લાભ લેતા કસરતપ્રેમીઓ, ઇન્ડોર ગેમ્સ ખેલાડીઓ અને સ્વિમિંગ કરનારા નાગરિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. યોગ્ય મેન્ટેનન્સના અભાવે દિવસે દિવસે હાલત ખરાબઅગાઉ મોટી સંખ્યામાં લોકો અહીં રોજિંદી કસરત અને રમતો માટે આવતા હતા, પરંતુ હાલ કોમ્પ્લેક્સ બંધ હોવાથી તેમને દૂર-દૂર સુધી જવું પડી રહ્યું છે, જેને લઈને સ્વાસ્થ્ય પ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે યોગ્ય મેન્ટેનન્સના અભાવે તેની હાલત દિવસે દિવસે ખરાબ થતી જઈ રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલું નજરાણું ખંડેરબીજી તરફ, ઉપયોગ વિના પડેલા કોમ્પ્લેક્સના મેન્ટેનન્સ પાછળ મોટો ખર્ચ પાલિકાને ભોગવવો પડી રહ્યો છે, જે શહેરીજનોના નાણાંના દુરુપયોગ માની શકાય છે. છેલ્લાં બે વર્ષથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બંધ હોવા છતાં તેને કાર્યરત કરવા માટે પૂરતા પગલાં ભરવામાં નહીં આવતા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલું નજરાણું ખંડેર બનવા તરફ જઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 4:29 pm

વસુધારા ડેરીની ચેરમેન-વાઈસ ચેરમેન પદની ચૂંટણી:ભાજપના મેન્ડેટ વિરુદ્ધ પરિણામો, રાજેશ પટેલ ચેરમેન, સીતાબેન જાધવ વાઈસ ચેરમેન તરીકે વિજેતા

દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત વસુધારા ડેરીની ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ પરિણામો આવ્યા છે. આ ચૂંટણીમાં રાજેશ ભીખાભાઈ પટેલ ચેરમેન અને સીતાબેન જાધવ વાઇસ ચેરમેન તરીકે વિજેતા જાહેર થયા છે. ચેરમેન પદ માટે દુવાડાના રાજેશ ભીખાભાઈ પટેલને 14માંથી 10 મત મળ્યા હતા. જ્યારે ભાજપના સત્તાવાર ઉમેદવાર કિશોર પટેલને માત્ર 4 મત મળ્યા હતા, જેના કારણે તેમની હાર થઈ હતી. વાઇસ ચેરમેન પદ પર પણ ભાજપ પ્રેરિત કલ્પનાબેન ભીંસરાને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમની સામે સીતાબેન જાધવે 9 મત મેળવી વિજય પ્રાપ્ત કર્યો હતો. ચૂંટણી પ્રક્રિયા આજે બપોરે 12:30 કલાકે બંધ બારણે શરૂ થઈ ત્યારે બંને પક્ષો વચ્ચે વિવાદ સર્જાયો હતો. સ્થિતિને નિયંત્રિત કરવા માટે ચીખલી પ્રાંત અધિકારીએ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. અધિકારીએ બંને પક્ષોને પૂરતો સમય આપ્યા બાદ, એક કલાકના વિલંબ સાથે મતદાન પ્રક્રિયા શરૂ કરાવી હતી. ભાજપના મેન્ડેટ હોવા છતાં, ડેરીના ડિરેક્ટરોએ પક્ષની સૂચનાને અવગણીને રાજેશ પટેલને સમર્થન આપ્યું છે. 14 માંથી 10 ડિરેક્ટરોના સમર્થનથી રાજેશ પટેલે સહકારી ક્ષેત્રમાં પોતાની મજબૂત પકડ દર્શાવી છે. આ પરિણામો આગામી સમયમાં જિલ્લાના સહકારી રાજકારણમાં અસર કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 4:26 pm

મોડાસામાં બાઇક-મોપેડ ચાલકો સેફ્ટી ગાર્ડ લગાવીને જનતાને સંદેશ:ઉત્તરાયણ પૂર્વે પતંગની દોરીથી સુરક્ષા માટે પહેલ

મોડાસામાં ઉત્તરાયણ પર્વ નજીક આવતા પતંગની દોરીથી થતા અકસ્માતો રોકવા એક વિશેષ પહેલ શરૂ થઈ છે. શહેરના માલપુર રોડ સહિત વિવિધ વિસ્તારોમાં બાઇક અને મોપેડ પર સેફ્ટી ગાર્ડ (સળિયા) લગાવવામાં આવી રહ્યા છે. દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીને કારણે ટુ-વ્હીલર ચાલકોને ગંભીર ઇજાઓ થવાના અને અકસ્માતોના કિસ્સાઓ નોંધાય છે. દોરી ગળામાં ફસાવાથી અથવા હાથ-ચહેરા પર વાગવાથી જીવલેણ પરિસ્થિતિઓ સર્જાય છે, જેમાં કેટલાક કિસ્સાઓમાં મૃત્યુ પણ થયા છે. આ ગંભીર જોખમને ધ્યાનમાં રાખીને, વેપારીઓ દ્વારા નજીવી કિંમતે સેફ્ટી ગાર્ડ લગાવીને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આ સેફ્ટી ગાર્ડ પતંગની દોરીને ગળા કે શરીરના અન્ય ભાગે ફસાતી અટકાવે છે, જેથી અકસ્માતથી બચી શકાય છે. સેફ્ટી ગાર્ડ લગાવનાર બાઇક ચાલકોએ જણાવ્યું કે, અચાનક દોરી ફસાઈ જવાથી થતી ગંભીર ઇજાઓ કે મૃત્યુની શક્યતા આનાથી મોટા પ્રમાણમાં ઘટે છે. તેમણે અપીલ કરી છે કે, સેફ્ટી ગાર્ડ માત્ર એક સળિયો નથી, પરંતુ જીવનની સલામતી અને પરિવારની ખુશી માટે અત્યંત જરૂરી છે. ઉત્તરાયણની ઉજવણી કરતી વખતે પોતાની અને અન્યની સલામતીને પ્રાથમિકતા આપવી જોઈએ. દરેક બાઇક ચાલકે સેફ્ટી ગાર્ડ અવશ્ય લગાવવો જોઈએ અને સુરક્ષિત ઉત્તરાયણ પર્વ ઉજવવો જોઈએ.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 4:18 pm

પાવાગઢ ફરવા ગયેલા બે શિક્ષકો ખંડીવાળા નર્મદા કેનાલમાં ડૂબ્યા:એક શિક્ષકનો પગ લપસતા બચાવવા ગયેલા બીજા શિક્ષક પણ ડૂબ્યા, શોધખોળ ચાલુ

વડોદરાથી પાવાગઢ ફરવા ગયેલા ચાર શિક્ષકો પૈકીના બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબી જતા હાલોલ ફાયરની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. વડોદરાથી ફરવા 4 શિક્ષક મિત્રોમાંથી ગઈકાલે પાવાગઢ ફરવા માટે ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે બે શિક્ષક મિત્રો વડોદરા હાલોલ રોડ પર આવેલ ખંડીવાળા નર્મદાની કેનલમાં ડૂબ્યા હતા. ઘટનાની જાણ થતા હાલોલ નગરપાલિકા અને જરોદ પોલીસ ઘટના દોડી ગઈ હતી. જોકે હજી સુધી બંને શિક્ષકોનો કોઈ પતો લાગ્યો નથી. નર્મદા કેનાલમાં બે શિક્ષકો ડૂબતા તેમની સાથે રહેલા બે શિક્ષક મિત્રોએ તુરંત જ ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો. ઘટનાની જાણ થતા હાલોલ ફાયર ફાઈટર ટીમ ખંડીવાળા નર્મદા કેનાલ ખાતે પહોંચી ગઈ હતી અને બંને શિક્ષકોની શોધખોળ શરૂ કરી હતી. ગઈકાલે અંધારું થઈ જતા રેસ્ક્યુ ઓપરેશન રોકવામાં આવ્યું હતું અને આજે સવારે ફરીથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. હજી સુધી બંને શિક્ષકોના કોઈ સગડ મળ્યા નથી.ચારે મિત્રો પાવાગઢ થી વડોદરા પરત ફરી રહ્યા હતા ત્યારે નર્મદા કેનાલ પાસે કાર રોકી હતી અને ચાર મિત્રો પૈકી ત્રણ મિત્રો ચેનલની પાળ ઉપર જઈને બેઠા હતા. આ સમયે રાહુલ યાદવ પગ ધોવા માટે કેનાલ પાસે ગયા હતા. જ્યાં તેમનો પગ લપસ્યો હતો અને તેઓ પાણીમાં ડૂબવા લાગ્યા હતા. રાહુલ યાદવે બુમાબૂમ કરતા મિત્રશુભમ પાઠક દોડી ગયા હતા અને તેમને તરતા આવડતું હોવાથી તેઓ કેનાલમાં કૂદ્યા હતા. જોકે તેઓ પણ પાણીમાં ડૂબી ગયા હતા. શિક્ષક વિધુતપ્રસાદસિંગ, રાહુલ વિરેન્દ્ર યાદવ, શુભમ મિથીલેશ કુમાર પાઠક અને અશિત જન્મેજયભાઈ ઓઝા કાર લઈને પાવાગઢ ગયા હતા. જે પૈકી અશિત ઓઝા કારમાં બેઠા હતા અને બીજા ત્રણ મિત્રો કેનાલ પર જઈને બેઠા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 4:17 pm

આંબાવાડી વર્ધમાન પેરેડાઈઝની કન્ટ્રકશન સાઈટ પર દુર્ઘટનાનો મામલો:બે શ્રમિકોના મોત અંગે સુપરવાઈઝર સામે ચોથા દિવસે ફરિયાદ નોંધાઈ

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી 'વર્ધમાન પેરેડાઈઝ' નામની નિર્માણાધીન સાઈટ પર ગત 1 જાન્યુઆરીના રોજ પ્લાસ્ટર કામ દરમિયાન ચોથા માળેથી પટકાતા બે શ્રમિકોના મોત નીપજ્યા હતાં. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા અન્ય એક શ્રમિકે સારવાર લીધા બાદ, ઘટનાના ચોથા દિવસે સાઈટ સુપરવાઈઝરની ગંભીર બેદરકારી હોવાનું જણાવી પોલીસ ફરિયાદ નોંધાવી છે. સેફ્ટીના સાધનોના અભાવે આ જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. વર્ધમાન પેરેડાઈઝ સાઈટ પર આડું લાકડું અચાનક તૂટી પડ્યુંમૂળ રાજસ્થાનના અને હાલ સેટેલાઈટ વિસ્તારના રાજીવનગરમાં રહીને છૂટક કડિયાકામ કરતા ધિરજ ડાભીએ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ તેમના સાથીદારો શાંતિલાલ મનાત, દેવીલાલ ગમાર અને પ્રવીણભાઈ સાથે આંબાવાડી ખાતેની વર્ધમાન પેરેડાઈઝ સાઈટ પર કામ કરવા ગયા હતાં. સુપરવાઈઝર નારણભાઈએ તેઓને બિલ્ડિંગના ચોથા માળે પાછળના ભાગે પ્લાસ્ટર કામ કરવા સૂચના આપી હતી. શ્રમિકો જ્યારે ચોથા માળે બાંધેલી વાંસની પાલખ પર ચડીને કામ કરી રહ્યા હતા, ત્યારે સવારના 10.30થી 10.45ની આસપાસ પાલખનું આડું લાકડું અચાનક તૂટી પડ્યું હતું. આ અકસ્માતમાં ધિરેજભાઈ, શાંતિલાલ અને દેવીલાલ ત્રણેય ચોથા માળેથી સીધા નીચે પટકાયા હતાં. માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં મોતનીચે પટકાતા જ શાંતિલાલ મનાત અને દેવીલાલ ગમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ધિરેજભાઈ બેભાન થઈ ગયા હતા. ભાન આવતા તેમને હાથ, કમર અને પગના ભાગે ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. સુપરવાઈઝર સામે ફરિયાદ નોંધાઈઆર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેઓ પ્રાથમિક સારવાર લઈ ઘરે પરત ફર્યા હતા, પરંતુ બાદમાં દુખાવો વધતા તેમણે SVP હોસ્પિટલમાં સારવાર લીધી હતી. પોતાની અને સાથીદારોની આ હાલત માટે સાઈટ પર સુરક્ષાના સાધનો પૂરા ન પાડનાર સુપરવાઈઝર સામે એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 4:13 pm

મામાએ શારીરિક અડપલા કર્યા અને સગીરા સાથે મામાના-દીકરાએ દુષ્કર્મ આચર્યું:સગીરા બહેન આગળ ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી ને ખબર પડી, ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

અમદાવાદના ચાંદખેડામાં રહેતી સગીરા સાથે સગીરાના મામાના દીકરાએ અભ્યાસ કરાવતા સમયે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું છે જ્યારે સગીરાના મામાએ સગીરાના શરીરમાં કઈ ઘૂસી ગયું હોવાનું કહીને શારીરિક અડપલા કર્યા હતા.સગીરાએ ઘણા સમય સુધી ડરના કારણે કોઈને જાણ કરી ન્હોતી પરંતુ કંટાળીને માતા જાણ કરતા સગીરાની માતાએ બાપ દીકરા સાથે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ચાંદખેડામાં રહેતી મહિલાની સગીર પુત્રી કંઇક વાત કરવી છે તેમ કહીને તેની બહેન સાથે આંટો મારવા ગઇ હતી ત્યારબાદ બાદ તે તેની બહેન આગળ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી હતી. જેથી તેની માતાને જાણ કરતા સગીરાની માતાએ આવીને તેને પૂછતા સગીરાએ તેની. સાથે ઘટનાની આપવીતી જણાવી હતી.ગત જુલાઇ માસમાં સગીરાના સગા મામી તેમના દીકરા સાથે ઘરે આવ્યા હતા અને સગીરાને તેમના ઘરે રહેવા લઇ ગયા હતા. સગીરાના મામા તાંત્રિક વિદ્યા કરતા અને દારૂ સિગારેટ પીતા હોવાથી મામાનો દીકરો રાત્રે તેના રૂમમાં બોલાવીને સગીરાને ગણિતનો અભ્યાસ કરાવતો હતો. આ દરમિયાનમાં તેણે સગીરાને અડપલા કરતા તેણે મનાઇ કરતા ગુસ્સામાં આવીને વિકૃત કૃત્ય કર્યુ હતું. જે બાદ સગીરાના સગા મામાએ તારા શરીરમાં કંઇક ઘુસી ગયુ છે તેને બહાર કાઢવું પડશે તેમ કહીને અડપલાં કર્યા હતા.જ્યારે થોડા દિવસ બાદ મામાના દીકરાએ અભ્યાસ કરાવવાના બહાને અડપલાં કરીને બળાત્કાર ગુજાર્યો હતો. આમ, મામાના દીકરાએ અનેક વાર સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો જ્યારે મામાએ છેડતી કરી અડપલાં કર્યા હતા. આખરે, મહિલાએ આ મામલે પોલીસને જાણ કરતા ચાંદખેડા પોલીસે પિતા પુત્ર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 4:07 pm

રાજકોટમાં રોગચાળો વકર્યો:વર્ષ 2025માં મનપાનાં ચોપડે વિવિધ રોગના દૈનિક 244 દર્દી નોંધાયા, જોખમી કમળાનાં 152, ટાઇફોઇડનાં 99 કેસ, ગાંધીનગરવાળી અટકાવવા માટે આરોગ્ય વિભાગ સતર્ક

ગાંધીનગર બાદ રાજકોટમાં પણ પાણીજન્ય રોગચાળો વકરે તેવી દહેશત છે. જેને લઈ મહાપાલિકાનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. છેલ્લા ચાર દિવસમાં રાજકોટ શહેરમાં ટાઇફોઇડનો માત્ર 1 કેસ નોંધાયો છે. જોકે આ પહેલા વર્ષ 2025માં પાણીજન્ય ટાઇફોઇડનાં 99 કેસ અને જોખમી કમળાનાં 152 કેસ સામે આવી ચુક્યા છે. જેને લઈને મનપા દ્વારા પાણીના જગ વેંચતા વેપારીઓને ત્યાં તપાસ શરૂ કરવામાં આવનાર છે. જેમાં ગેરકાયદેસર પાણીના જગ વેંચતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવનાર છે. તેમજ ગત સપ્તાહે 555 સ્થળેથી પાણીના ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. પાણીજન્ય રોગચાળાથી બચવા લોકોને ઉકાળેલુ પાણી પીવાની અપીલ કરવામાં આવી છે. 2025નાં વર્ષમાં વિવિધ રોગના મળી 89299 દર્દીઓ એટલે કે રોજના 244 જેટલા દર્દીઓ નોંધાયા છે. રાજકોટ મનપા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 2025માં શરદી-ઉધરસનાં 40,805, સામાન્ય તાવના 38,894, ઝાડા ઉલટીનાં 9,230, ડેંગ્યુનાં 84, મેલેરિયાનાં 22 અને ચિકનગુનિયાનાં 13 મળીને વિવિધ રોગના કુલ 89,299 જેટલા દર્દીઓ નોંધાઈ ચુક્યા છે. જેમાં ખાસ કરીને પાણીજન્ય ઝાડા-ઉલટી, ટાઇફોઇડ અને કમળાનો રોગચાળો વકરે નહીં તેના માટે તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં જે કોઈ સ્થળેથી કમળો કે ટાઇફોઇડ અને ઝાડા;ઉલટીનાં દર્દી સામે આવે ત્યાં અને આસપાસના વિસ્તારમાં પાણીનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. પાણીમાં ક્લોરીનેશનની યોગ્ય માત્રા છે કે નહીં તે અંગે પણ સતત તપાસ કરાઈ રહી છે. ક્રમ રોગનું નામ 2025માંનોંધાયેલા દર્દી1) શરદી-ઉધરસ 40,8052) સામાન્ય તાવ 38,8943) ઝાડા-ઉલટી 9,2304) કમળો 1525) ટાઇફોઇડ 996) ડેંગ્યુ 847) મેલેરિયા 228) ચિકનગુનિયા 13 આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ ઓગષ્ટ માસથી લઈને આજસુધી દર મહિનાની 6 તારીખે સુપર ક્લોરીનેશનની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જેમાં વોટરવર્ક્સ અને આરોગ્ય શાખા નળમાં વિતરણ કરાતા પાણીમાં ક્લોરીનેશનની માત્રા યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરે છે. ગત સપ્તાહમાં પણ આ અંગેના 555 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 554માં ક્લોરીનની માત્રા યોગ્ય હોવાનું જણાયું હતું. જ્યારે 1 કેસમાં ક્લોરીનની માત્રા ઓછી હોવાથી તાત્કાલિક જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા. પાણીજન્ય રોગચાળો સામાન્ય રીતે પીવાના પાણીમાં ગંદુ પાણી ભળવાથી થતો હોય છે. ત્યારે જ્યાં કોઈપણ લીકેજનાં પ્રશ્નો હોય તેને ડેપ્યુટી એન્જીનીયર સાથે મળી તરત જ દૂર કરવામાં આવી રહ્યા છે. જ્યાં ઝાડા-ઉલટી, ટાઇફોઇડ કે કમળા જેવા પાણીજન્ય રોગના કેસ સામે આવે તે વિસ્તારમાં ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારાઓની તપાસ કરવામાં આવે છે. સાથે જ એક્ટિવ અને પેસિવ સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે. જો કોઈપણ શંકાસ્પદ જણાય ત્યાં ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવા સહિતના જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે લોકો પણ સાવચેત રહે અને બને ત્યાં સુધી ઉકાળેલું પાણી પીવે તે જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 4:04 pm

સુરતમાં ચાલતી બસમાં આગને લઈને તંત્ર હરકતમાં:સિટી બસમાં લાગેલી આગમાં 25 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો, જાહેર પરિવહન સમિતિએ કડક વલણ અપનાવ્યું

સુરતના અમરોલી વિસ્તારમાં મુસાફરો ભરેલી સિટી બસમાં લાગેલી આગની ઘટનાએ હવે રાજકીય અને વહીવટી મોરચે ગરમાવો લાવી દીધો છે. આ ગંભીર બેદરકારી મામલે સુરત મહાનગરપાલિકાની જાહેર પરિવહન સમિતિએ કડક વલણ અપનાવ્યું છે. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં ગત શુક્રવારે રાત્રે એક મોટી દુર્ઘટના ટળી હતી. રસ્તા પર દોડતી મુસાફરોથી ભરેલી સિટી બસમાં અચાનક શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી હતી. બસમાં સવાર 25 જેટલા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા, પરંતુ સદનસીબે તમામ મુસાફરો સમયસર સુરક્ષિત રીતે બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી. ચેરમેન સોમનાથ મરાઠેનો મિજાજ ગરમ, અધિકારીઓનો ઉધડો લીધોઆ ઘટનાને પગલે જાહેર પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠે લાલઘુમ જોવા મળ્યા હતા. તેમણે સીટી લિંકના અધિકારીઓની ઝાટકણી કાઢતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ઓપરેટરોને સાચવવાનું બંધ કરી દો. તેમણે અધિકારીઓ પાસે આ મામલે જવાબ માંગ્યો છે કે શા માટે લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે તંત્ર સામે ઉઠેલા તીખા સવાલોપરિવહન સમિતિએ સીટી લિંકની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે કે ડેડલાઈન પૂર્ણ છતાં બસો કેમ ચાલુ? જે ડીઝલ બસોની સમયમર્યાદા (ડેડલાઈન) પૂર્ણ થઈ ગઈ છે, તે હજુ પણ રસ્તા પર કેમ દોડાવવામાં આવે છે? બસોનું ફિટનેસ નબળું હોવા છતાં અને તે 'કન્ડમ' જાહેર કરવા લાયક હોવા છતાં કોના ઈશારે રસ્તા પર ઉતારવામાં આવી રહી છે? 400 સિટી બસોના ફિટનેશ રિપોર્ટ રજૂ કરવા આદેશઘટનાની ગંભીરતા જોતા ચેરમેને કડક આદેશો આપ્યા છે કે શહેરમાં દોડતી તમામ 400 સિટી બસોના ફિટનેસ રિપોર્ટ તાત્કાલિક અસરથી રજૂ કરવા આદેશ અપાયો છે. જો કોઈ પણ બસમાં ટેકનિકલ ખામી જણાશે, તો સંબંધિત એજન્સીને તાત્કાલિક અસરથી પ્રતિબંધિત કરવામાં આવશે. શુક્રવારની ઘટનાનો વિગતવાર રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર એજન્સી સામે કડક કાયદાકીય અને વહીવટી પગલાં ભરવામાં આવશે. બસમાં આગ લાગી હતી એ ખૂબ જ ગંભીર બાબતસુરત મહાનગરપાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ સોમનાથ મરાઠે એ જણાવ્યું હતું કે, અમરોલી વિસ્તારમાં જે ડિઝલ બસમાં શુક્રવારે આગ લાગી હતી એ ખૂબ જ ગંભીર બાબત છે. ડ્રાઇવરની જાગૃતતાના કારણે પેસેન્જરોને બસમાંથી નીચે ઉતાર્યા હતા. પ્રથમ જે એની માહિતી આવી છે, પેનલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી છે. પરંતુ પેનલમાં આટલો મોટો શોર્ટ સર્કિટ થવો, અમે ડેપો મેનેજર સાથે પણ વાત કરી છે કે કેવી રીતે ત્યાં મેન્ટેનન્સ થાય છે? તેની ફિટનેસ તમે કેવી રીતે ચેક કરો છો? તાત્કાલિક અસરથી મને તમામ ડિઝલ બસના, પછી તે મારુતિ ટ્રાવેલ્સ હોય કે હંસા ટ્રાવેલ્સ હોય, એ બંને ટ્રાવેલ્સની જે આપણે 400 બસ છે, એ 400 બસની તાત્કાલિક રીતે ફિટનેસ તમે મંગાવો. એન્જિનની શું પરિસ્થિતિ છે? બોડી લાઈનની શું પરિસ્થિતિ છે? બીજી વાર આવી કોઈ ઘટના શહેરમાં નહીં બને એના માટે ડેપો મેનેજર હોય કે અન્ય એનો સ્ટાફ હોય કે અમારા સિટી લિંકના મેનેજર હોય; તમે રસ્તા પર ઉતરીને બસો ચેક કરો, પોતે બસમાં બેસો, બસની અંદર સફાઈ થાય છે કે નહીં એ તમામ બાબત જુઓ. ડ્રાઇવરો બેલ્ટ લગાવે છે કે નહીં, ડ્રાઇવરો ગાડી પરફેક્ટ બસ ચલાવે છે કે નહીં, ઝેબ્રા ક્રોસિંગ પર ગાડી સ્લો કરે છે કે નહીં, સ્પીડની લિમિટ જે આપણે 80 થી બાંધી છે તે પરફેક્ટ છે કે નહીં. રિપોર્ટના આધારે જ બસને ચાલુ કે બંધ કરાશેવધુમાં જણાવ્યું હતું કે, હું જ્યારથી આ વિભાગનો ચેરમેન બન્યો છું ત્યાર સુધી કોઈ પણ એજન્સીને મારા નજીક આવવા દેતો નથી અને એમના કરોડો રૂપિયાના આપણે ફાઈન કર્યા છે. અને આમાં પણ જે ગંભીરતા આપણને દેખાઈ રહી છે, એની માટે પણ આપણે એને ફાઈન કરવાના છે અને તાત્કાલિક અસરથી આપણે એના બધા રિપોર્ટ મંગાવ્યા છે અને રિપોર્ટના આધારે જ આગળ આપણે બસને ચાલુ રાખીશું નહીં તો બસને એમાંથી સસ્પેન્ડ કરી દઈશું. 400 ડિઝલ બસોનું ફિટનેસ ચેકિંગ કરવાનો આદેશઅમરોલીમાં બસમાં લાગેલી આગ અને અગાઉ ટાયર ફાટવાની ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે. શહેરમાં ચાલતી તમામ 400 ડિઝલ બસોનું ફિટનેસ ચેકિંગ કરવાનો આદેશ અપાયો છે. નબળી ફિટનેસ અથવા બેદરકારી બદલ એજન્સીઓ પર કરોડોનો દંડ અને બસ સસ્પેન્ડ કરવાની ચીમકી અપાઈ છે. નવી 600 ઈલેક્ટ્રિક બસો માર્ચ પછી તબક્કાવાર સુરતમાં આવવાની છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 3:57 pm

સ્વિગી વાઉચર ક્રિપ્ટોથી ખરીદનાર દિલ્હી-વલસાડના બે યુવકો ઝડપાયા:એન્જિનિયરિંગની ડિગ્રી અને PUBGની લત, માતાએ પુત્રની ફી માટે રાખેલા 1 લાખ 10 મિનિટમાં સાફ

સુરત સાયબર સેલે તાજેતરમાં વલસાડ અને દિલ્હીથી બે એવા હાઇ-પ્રોફાઇલ યુવાનોની ધરપકડ કરી છે, જેઓ ભણેલા-ગણેલા હોવા છતાં PUBG ગેમની લત અને લાલચમાં આવીને સાયબર ફ્રોડના નેટવર્કનો હિસ્સો બની ગયા હતા. આ બંને યુવાનો સાયબર ઠગો પાસેથી ડિસ્કાઉન્ટમાં ગિફ્ટ વાઉચર ખરીદીને સોનાની ખરીદી કરતા હોવાનું બહાર આવ્યું છે. બેંકમાં 10 લાખ જમા કરાવ્યા ને ઠગે...સુરતના અઠવા પોલીસ મથકમાં નોંધાયેલી આ ફરિયાદની વિગતો અત્યંત કરુણ છે. એક મધ્યમવર્ગીય મહિલાએ ઘરકામ કરીને અને પેટે પાટા બાંધીને પોતાના પુત્રના અભ્યાસની ફી ભરવા માટે બેંકમાં 10 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. આ રકમ તેના પુત્રના ઉજ્જવળ ભવિષ્ય માટેની મૂડી હતી, પરંતુ સાયબર અપરાધીઓની નજર આ મહેનતની કમાણી પર પડી ગઈ હતી. માત્ર 10 મિનિટના ગાળામાં દર મિનિટે 10 હજાર પડાવ્યાગુનાની પદ્ધતિ એટલી ચોકસાઈભરી હતી કે ભોગ બનનાર મહિલાને કંઈ સમજવાનો મોકો જ મળ્યો નહીં. સાયબર ઠગોએ મહિલાનો મોબાઈલ ફોન હેક કરી તેના નેટ બેંકિંગનો એક્સેસ મેળવી લીધો હતો. માત્ર 10 મિનિટના ટૂંકા ગાળામાં, દર મિનિટે 10 હજાર રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરીને કુલ 1 લાખ રૂપિયા બેંક એકાઉન્ટમાંથી સાફ કરી દેવામાં આવ્યા હતા. મહિલાના મોબાઈલ પર જ્યારે મેસેજ આવવા લાગ્યા ત્યારે તેને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે. સ્વિગી વાઉચર ક્રિપ્ટોથી ખરીદ્યા ને વેચવા મૂક્યાજ્યારે સુરત સાયબર સેલે આ કેસની તપાસ હાથ ધરી ત્યારે ટેકનિકલ સર્વેલન્સમાં ચોંકાવનારા ખુલાસા થયા. ઠગોએ મહિલાના એકાઉન્ટમાંથી ચોરી કરેલા પૈસા સીધા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવાને બદલે તેમાંથી 'સ્વિગી વાઉચર' ખરીદી લીધા હતા. આ એક એવી યુક્તિ હતી જેનાથી પોલીસને ગેરમાર્ગે દોરી શકાય. આ વાઉચર્સને ત્યારબાદ ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વેચવા માટે મૂકવામાં આવ્યા હતા. જેને દિલ્હી અને વલસાડ ના બે ઓનલાઇન ગેમ ખેલનાર યુવકો એ ખરીદ્યા હતા. એટલું નહીં આ વાઉચર થી ગોલ્ડ ખરીદી લીધું હતું. એન્જિનિયરિંગની ડિગ્રી અને PUBGની લતપોલીસના સકંજામાં આવેલા બે આરોપીઓ પૈકી એક મિત ભંડારી વલસાડનો રહેવાસી છે અને તેણે B.E. મિકેનિકલનો અભ્યાસ કર્યો છે. અગાઉ મેડિકલ ડિવાઈસ બનાવતી કંપનીમાં નોકરી કરતો મિત હાલ બેકાર હતો. તેણે ટેલિગ્રામ પરથી સાયબર ઠગો પાસેથી 20% ડિસ્કાઉન્ટમાં આ સ્વિગી વાઉચર્સ ખરીદ્યા હતા. આ માટે તેણે USDT એટલે કે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કર્યો હતો, જેથી નાણાકીય લેવડદેવડ ગુપ્ત રહે. નરેન્દ્ર અને મિત વચ્ચે ટેલિગ્રામ દ્વારા સંપર્ક થયો હતોબીજો આરોપી નરેન્દ્રસિંહ બિષ્ટ દિલ્હીનો રહેવાસી છે અને તે ડિપ્લોમા ઇન એનિમેશનનો અભ્યાસ કરી ગ્રાફિક ડિઝાઇનર તરીકે કામ કરતો હતો. નરેન્દ્ર અને મિત વચ્ચે ટેલિગ્રામ દ્વારા સંપર્ક થયો હતો. નરેન્દ્રએ મિત પાસેથી આ વાઉચર્સ મેળવ્યા અને તેને ઓનલાઇન રિડીમ કરીને કલ્યાણ જ્વેલર્સમાંથી આશરે 39,777 રૂપિયાના સોનાના સિક્કા ખરીદી લીધા હતા. આ રીતે કાળા નાણાંને સોનામાં ફેરવી દેવામાં આવતું હતું. PUBG ગેમ રમીને એકબીજાના સંપર્કમાં આવ્યાડીસીપી બિશાખા જૈને જણાવ્યું હતું કે, બન્ને આરોપીઓ PUBG ગેમ રમે છે અને ત્યાંથી એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. આરોપીઓ ગેમિંગ કમ્યુનિટીમાં સક્રિય હતા અને ત્યાં જ તેઓ સાયબર ઠગોના સંપર્કમાં આવ્યા હતા. ટેલીગ્રામ ગ્રુપના માધ્યમથી સ્વિગી વાઉચર ખરીદ્યા હતા. દિલ્હી અને વલસાડમાં દરોડા પાડીને બંનેની ધરપકડઝડપથી પૈસા કમાવવાની લાલચમાં આ યુવાનોએ પોતાની ડિગ્રી અને કારકિર્દીને દાવ પર લગાવી દીધી. સાયબર સેલની ટીમે દિલ્હી અને વલસાડમાં દરોડા પાડી આ બંનેની ધરપકડ કરી છે. સુરત સાયબર સેલે આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરી 100% રકમ એટલે કે પૂરેપૂરા 10 લાખ રૂપિયા રિકવર કરવામાં સફળતા મેળવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નેટવર્ક સાથે બીજા કેટલા યુવાનો જોડાયેલા છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 3:55 pm

'ઉપરથી નીચે સુધીના લોકો ભ્રષ્ટાચારમાં સામેલ':કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં અમિત ચાવડા-તુષાર ચૌધરીએ દારૂ-ડ્રગ્સ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા

ખેડા જિલ્લાના કપડવંજથી શરૂ થયેલી કોંગ્રેસની બીજા તબક્કાની જન આક્રોશ યાત્રા આજે દોહોદના દેવગઢ બારિયા ખાતે પહોંચી છે. દેવગઢ બારિયાના ટાવર ખાતે યોજાયેલી સભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમજ વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીએ ભ્રષ્ટાચાર તેમજ દારૂ ડ્રગ્સ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા. 'મધ્યપ્રદેશ-રાજસ્થાનથી દારૂ આવે છે'કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોલીસકર્મીઓને ઇશારો કરતા જણાવ્યું કે, તમારે અમારા જેટલા વીડિયો ઉતારવા હોય એટલા ઉતારી લેજો અને જ્યાં પહોંચાડવા હોય ત્યાં પહોંચાડી દેજો. હાલમાં આ વિસ્તારમાં વિદેશી દારૂ મોટી માત્રામાં વહેંચાય છે અને તે વિદેશી દારૂ મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાંથી મોટી માત્રામાં પોલીસ એસ્કોર્ટ સાથે જ આવે છે. 'ઉપરથી નીચે સુધીના લોકો ભ્રષ્ટાચારમાં સામેલ'અમિત ચાવડાએ દેવગઢ બારીયા તેમજ પંચમહાલના જાંબુઘોડામાં મનરેગા યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવતા કહ્યું કે, આ ભ્રષ્ટાચારમાં અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નથી થતી. તેનું કારણ છે કે અહીંથી છેક ગાંધીનગર સુધી, છેક ઉપરથી નીચે સુધીના લોકો ભ્રષ્ટાચારમાં સામેલ છે. અમે ખાલી ભ્રષ્ટાચારનો ખાલી વિરોધ નહીં કરીએ પણ ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા પણ કરીશું. 'મંત્રી પુત્રોની જેમ મંત્રી પણ જેલ ભેગા થશે'વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું કે, ભાજપની સરકારમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. ખાસ કરીને દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં થયેલા મનરેગા યોજનાના ભ્રષ્ટાચારમાં મંત્રી પુત્ર જેલ ભેગા થયા હતા. જેમાં હજી મંત્રી પણ જેલ ભેગા થશે. હાલમાં સુરેન્દ્રનગરના પકડાયેલા નાયબ મામલતદારને ત્યાંથી 67 લાખ રૂપિયા મળી આવ્યા ત્યારે કલેકટર, કમલમ, તેમજ મુખ્યમંત્રી સુધી કેટલા હપ્તા પહોંચ્યા હશે?

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 3:49 pm

પીવાના પાણીના સંપ પાસે ડ્રેનેજ સંપના નિર્માણનો ઉગ્ર વિરોધ:મહેસાણાના ગાંધીનગર લિંક રોડ પર કામગીરી શરૂ કરાતા સ્થાનિક રહીશોએ મનપા કચેરી ગજવી

મહેસાણાના ગાંધીનગર લિંક રોડ પર ખારી નદી પાસે આવેલા 50 લાખ લિટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના મુખ્ય સંપની બિલકુલ નજીક મહાનગરપાલિકા દ્વારા ગંદા પાણીનો ડ્રેનેજ સંપ બનાવવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ પ્રોજેક્ટના વિરોધમાં આજે મોટી સંખ્યામાં અસરગ્રસ્ત સોસાયટીઓના નાગરિકો મહાનગરપાલિકાની કચેરીએ દોડી આવ્યા હતા અને તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ચોખ્ખા પાણીના સ્ત્રોતની બાજુમાં ગંદા પાણીનો સંપ બનાવાથી વિરોધઆ વિસ્તારની અંદાજિત 300 જેટલી સોસાયટીઓના 50 હજારથી વધુ નાગરિકો આ પીવાના પાણીના સંપ પર નિર્ભર છે. રહીશોનો મુખ્ય આક્ષેપ છે કે જો ચોખ્ખા પાણીના સ્ત્રોતની બાજુમાં જ ગંદા પાણીનો સંપ બનાવવામાં આવશે તો ભવિષ્યમાં ડ્રેનેજનું દૂષિત પાણી પીવાના પાણીમાં ભળી જવાની પૂરેપૂરી શક્યતા છે. રોગચાળો ફાટી નીકળવાનો ભયઆ ગંભીર બેદરકારીને કારણે હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ શકે છે અને રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે. આ ઉપરાંત, નજીકમાં આવેલી ખારી નદીમાં પણ પ્રદૂષણ ફેલાવવાની અને પર્યાવરણને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિકોએ 'રામ ધૂન' બોલાવી હતીમહાનગરપાલિકાના પરિસરમાં એકત્ર થયેલા લોકોએ શાંતિપૂર્ણ રીતે વિરોધ દર્શાવતા નીચે બેસીને 'રામ ધૂન' બોલાવી હતી, જેના કારણે મનપા કચેરીનું વાતાવરણ ગરમાયું હતું. રહીશોની આક્રમક રજૂઆત અને જનહિતને ધ્યાને રાખીને ડેપ્યુટી કમિશનર મંડોરીએ તાત્કાલિક અસરથી ડ્રેનેજ સંપની કામગીરી બંધ રાખવા સૂચના આપી હતી. તંત્ર દ્વારા કામગીરી અટકાવવાના નિર્ણયથી હાલ પૂરતી રહીશોને રાહત મળી છે.રહીશોએ લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વિના જ આ જોખમી કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ નિર્ણય પાછો ખેંચવા માંગલોકોની માંગ છે કે આ ગંદા પાણીનો સંપ રહેણાંક વિસ્તારથી દૂર કોઈ સરકારી ખાલી જગ્યા પર બનાવવામાં આવે જ્યાં વસવાટ ન હોય. જો કાયમી ધોરણે આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે, તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ રહીશો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 3:41 pm

ધમકી-બ્લેકમેઈલિંગથી કંટાળી મામલતદારે ઝેરી દવા ગટગટાવી:પાલનપુરમાં સારવાર હેઠળ; વીડિયોમાં કહ્યું- '6 લોકોની ગેંગ મને માનસિક ત્રાસ આપે છે', 'ફોટા બતાવી 20 લાખ માંગ્યા'

સાંતલપુરના મામલતદાર ડી. ડી. પંડ્યાએ વીડિયો અને સુસાઈડ નોટ લખી ગત રાત્રે 3થી 4 વાગ્યાની આસપાસ પોતાના ગામ થરાદના વજગેઢમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. હાલ તેઓ પાલનપુરમાં સારવાર હેઠળ છે. ધમકી અને બ્લેકમેઈલિંગથી કંટાળી તેઓએ આ પગલું ભર્યું છે. આ મામલે થરાદ પોલીસને બનાવની જાણ થતાં થરાદ મામલતદાર સહિત પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથધરી હતી. સુસાઈડ નોટમાં ભાણેજ સહિત છ લોકોના નામનો ઉલ્લેખસુસાઈડ નોટમાં મામલતદારે તેમના ભાણેજ સહિત કુલ છ જેટલા ઇસમોના નામનો ઉલ્લેખ કર્યો છે. તેમજ વીડિયોમાં પણ આ 6 લોકોની ગેંગ માનસિક ત્રાસ આપતી હોય અને ફોટા બતાવી 20 લાખની માગણી કરતી હોવાનો આક્ષેપ કર્યોં છે. યોજના ઘડી ખોટી રીતે બદનામ કરવામાં આવતા હોવાનો આક્ષેપસુસાઇડ નોટમાં ઉલ્લેખ મુજબ, જેના નામનો ઉલ્લેખ કરાયો છે તે તમામ શખસો દ્વારા યોજના ઘડીને તેમને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા હતા. તેમાં ACBમાં ખોટી ફરિયાદ કરવી, યુવતી સાથે ખોટા ફોટા બનાવી બદનામ કરવાના પ્રયાસો અને સતત હેરાનગતિ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મામલતદારે માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યા છે. મામલતદારે સુસાઈડ નોટની સાથે વીડિયો બનાવીને પણ આક્ષેપ કર્યાંઝેરી દવા ગટગટાવતા પહેલા મામલતદારે આક્ષેપ સાથે એક વીડિયો બનાવ્યો હતો. જે વીડિયોમાં તેઓ જણાવી રહ્યા છે કે, મારું નામ દિનેશભાઈ તુજાજી પંડ્યા છે. આજ રોજ હું આ છેલ્લો વીડિયો બનાવી રહ્યો છું. મારા વિરુદ્ધમાં મારા ભાણેજ કિશન બેચરભાઈ પંડ્યા. છેલ્લા 4 વર્ષથી પાછળ પડ્યા છે. તેણે મારા વિરુદ્ધમાં 8થી 10 અરજીઓ કરી છે. જે તપાસ કરાવતા-કરાવતા હું પોતે થાકી ગયો છું. તેઓ મને માનસિક ત્રાસ આપી અને મારી નાખવા માટેની કોશિશ કરી રહ્યા છે. આજે મને બપોરે મારા ગામના અશારામ શંકરભાઈ વાઘેલા, જે મામલતદાર કચેરીમાં ક્લાર્ક છે, તેઓનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું કે, ભાભર ગામના ચાર રસ્તા વાવ અરૂણ આચાર્યની કોમ્પ્લેક્ષમાં ઓફિસ ચલાવતા ભાભર ગામના તુલસી ગોહિલ અને અનિલ ગોહિલે મને બોલાવી, તમારા ફોટા એમના પાસે છે અને તમને બોલાવે છે, તમે એમની પાસે સમાધાન કરી લો. જે બાદ મને હકીકત જાણવા મળી કે, દરજી માનસિંગભાઈ ગોવાભાઈ તેમની દીકરી સોનલબેન અનિલભાઈ પ્રજાપતિ અને આશારામભાઈ મહારાજ, જેવો પણ આ વાતમાં સામેલ છે. આ બધાને કિશન બેચરભાઈ પંડ્યાની સૂચનાથી કામ થયું હોય તેવી મને શંકા જાય છે. મને જાણવા મળ્યું છે કે, જેનો પણ ફોટો મને મળ્યો છે. એ ફોટાવાળાને મારે કોઈ સંબંધ નથી અને એ નિર્દોષ માણસ છે. એણે પણ કહ્યું કે, અમારી પાસે પણ ખોટી ખોટી માંગણીઓ થઈ રહી છે. એ ગરીબ માણસ છે. સાંજે 6:15 વાગ્યે મારા ઉપર કિરણભાઈ નામના વ્યક્તિ કે જેના મોબાઈલ નંબર છેલ્લે 112 છે. તેનો ફોન આવ્યો અને કહ્યું કે, તમારા ફોટાનું શું થયું છે? અને તમે 20 લાખ રૂપિયા લઈ મારી પાસે આવી જાવ, નહિતર તમારા ફોટા વાયરલ કરી દઈશ અને તમને જીવવા નહી દઉં. આ બાબતે મેં તરત જ વાવ પોલીસ સ્ટેશનની અંદર જે. જે. જમાદારને ફોન કર્યો હતો. જેઓ દૂધગામ રજા ઉપર હતા. મારી પાસેથી નંબર લીધા અને એને ફોન કર્યો હતો જોકે, તેણે ફોન ઉપાડ્યો નહીં. એ ભાઈના મને 4 વખત વોટ્સએપ કોલ આવ્યાં હતા. તેઓએ ફોટા મૂકીને તરત ડિલીટ કરી દીધા હતા. આની પાછળ આખી મોટી ગેંગ છે અને આ ગેંગ મને માનસિક ત્રાસ આપે છે. હું મારા ભાણેજથી કંટાળી ગયો હતો. મારા વિશે મારા ભાણેજે વારંવાર વીડિયો બહાર પાડ્યાં છે જે મારા દીકરાઓ પાસે છે. તુલસી અનિલ, અનિલ પ્રજાપતિ, માનસિંગ ગોવાભાઈ દરજી, એની દીકરી સોનલ અને આશારામભાઈ મહારાજ જેમનું નામ મારા આ લેખિતમાં સંપૂર્ણ લખેલું છે, આ બધાએ કાવતરું કરી અને ત્રાસ આપ્યો છે. હું માનસિક રીતે હવે કંટાળેલો હોઈ હવે મારી કોઈ જીવવાની આશા ન હોઈ આમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાની થશે. મામલતદારના પુત્ર રોહિત પંડ્યાએ જણાવ્યું કે, મારા પિતાએ રાત્રે સુસાઈડ કરવાનો પ્રયાસ કર્યો છે. જે પહેલા તેઓએ એક નોટ લખી હતી અને વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયો તેઓ બધુ જણાવી રહ્યા છે કે, તેઓને કઈ રીતે ટોર્ચર કરવામાં આવી રહ્યા છે. કઈ હદ સુધી તેઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે જેથી તેઓએ આ પગલુ ભર્યું છે. સુસાઈડ નોટમાં ગુનેગારોના નામ સહિત તમામ વિગત લખી છેવધુમાં જણાવ્યું કે, સુસાઈડ નોટમાં ગુનેગારોના નામ, મોબાઈલ નંબર અને ક્યારે ધમકી આપવામાં આવી હતી તે તમામ વિગત લખી છે. હાલ તેઓની પાલનપુરમાં સારવાર ચાલું છે. સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે મારૂ અને મારા પિતાનું બન્નેનું નિવેદન લીધું છે. પોલીસની કાર્યવાહી બાદ તમામ ખુલાસા થશેઃ રોહિત પંડ્યાઆ અંગે કારણ એવુ જાણવા મળ્યું છે કે, ફોટા વાઈરસ કરી દેશું અને બદનામ કરી દેશું તેવી ધમકી આપી 25 લાખની માંગણી કરાઈ હતી. આ પ્રમાણે છેલ્લા 4 વર્ષથી તેઓને હેરાન કરવામાં આવી રહ્યા છે તેમાં પણ છેલ્લા 6 મહિનાથી તો ખુબ હેરાન કરે છે. આમાં આખી ગેંગ છે. પોલીસની કાર્યવાહી બાદ તમામ ખુલાસા થશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 3:32 pm

અમદાવાદ: ઇન્કમ ટેક્સ પાસે આવેલી ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી, ઈમેલ મળતાં કોર્ટ સંકુલમાં દોડધામ

Ahmedabad News: ઇન્કમ ટેક્સ પાસે આવેલી અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે. અજાણ્યા શખ્સે ઇમેલ મારફતે કોર્ટના ઈમેલ પર મેલ કરીને કોર્ટને ઉડાવવાની ધમકી આપી હતી. ઇમેલ મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. નવરંગપુરા પોલીસ, બોમ્બ સ્કવૉડ, ડોગ સ્કવૉડ દ્વારા કોર્ટમાં હાલ તપાસ કરવામાં આવી રહી છે. ધમકી મળતા કોર્ટની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.

ગુજરાત સમાચાર 5 Jan 2026 3:26 pm

સુરતમાં સાવિત્રીબાઈ ફુલેની 194મી જન્મજયંતિ ઉજવાઈ:અહિલ્યાબાઈ હોળકર કન્યા શાળામાં પૂર્વ મંત્રીની હાજરીમાં ઉજવણી

સુરતના વેડ રોડ પર આવેલી અહિલ્યાબાઈ હોળકર કન્યા શાળા ક્રમાંક 185 ખાતે પ્રથમ મહિલા શિક્ષિકા ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફુલેની 194મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સોનલબેન દેસાઈ (અધ્યક્ષ, સાંસ્કૃતિક સમિતિ, સુરત મહાનગર), નગરસેવક જ્યોતિકાબેન લાઠિયા, કામિનીબેન દોશી (કાર્યપાલક, કતારગામ ઝોન), ડૉ. વત્સલબેન (મેડિકલ ઓફિસર), સ્વાતિબેન સોસા (સભ્ય, નગર શિક્ષણ સમિતિ) અને અલીશાબેન (પોલીસ વિભાગ) સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કોર્પોરેટર સુવર્ણાબેન જાધવ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના અનાથ બાળકોને સ્ટેશનરી કીટ આપવામાં આવી હતી. શાળાની વિદ્યાર્થિનીઓએ ચિત્રકલા, નિબંધ, વક્તૃત્વ અને વેશભૂષા સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થિનીઓને સ્ટેશનરી કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી. શિક્ષણ, સમાજસેવા અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહિલાઓને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમના સંચાલનમાં વર્ષાબેન ગાયકવાડ પણ જોડાયા હતા. કાર્યક્રમના અંતે શાળાના પ્રધાનાચાર્ય સુનીલ નેહતેએ તમામ અતિથિઓ, વાલીઓ, વિદ્યાર્થિનીઓ અને શાળા ક્રમાંક ૧૮૫ની ટીમના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે કાર્યક્રમનું સમાપન થયું.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 3:21 pm

VNSGU વિદ્યાર્થીઓએ ભારત વિકાસ પરિષદ સંમેલનમાં:આદિવાસી નૃત્યની પ્રસ્તુતિ કરી, પરંપરાગત જીવનશૈલી દર્શાવી

ભારત વિકાસ પરિષદ, પશ્ચિમ ક્ષેત્ર (ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા) દ્વારા 'અમૃત્તમ' કાર્યકર્તા સંમેલનનું આયોજન 3 જાન્યુઆરી 2026ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરતના કન્વેન્શન હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પશ્ચિમ ક્ષેત્રના વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. આ કાર્યક્રમમાં VNSGU ના સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓએ પ્રાધ્યાપક ડૉ. જીતેન્દ્ર વસાવાના માર્ગદર્શન હેઠળ આદિવાસી નૃત્ય રજૂ કર્યું. આ નૃત્યકૃતિમાં આદિવાસી સમુદાયની પરંપરાગત જીવનશૈલીનું પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું હતું. નૃત્ય દ્વારા ખેતી કરવાની પદ્ધતિ, ખેતીના દેવતાઓનું પૂજન, પાકને પ્રાકૃતિક દેવો તથા કુળદેવીને અર્પણ કરવાની પરંપરા અને લગ્ન સંસ્કાર જેવી મહત્વપૂર્ણ બાબતો દર્શાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પરંપરાગત વસ્ત્રો અને ઘરેણાં પહેરીને ચાંગી ઢોલ, છીબલી (ટોપલી) તથા પ્રાકૃતિક અને કુળદેવી યાહામોગીની પૂજા માટે ઉપયોગમાં લેવાતા હિજારી ખેતીના સાધનોનો ઉપયોગ કર્યો હતો. આ પ્રસ્તુતિને કાર્યક્રમના આયોજકો અને ઉપસ્થિત શ્રોતાઓ દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ VNSGU ના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા, સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. એમ. એન. ગાયકવાડ અને રૂરલ સ્ટડીઝ વિભાગના અધ્યક્ષ ડૉ. દીપક ભોંયેના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 3:18 pm

વિશ્વ હિન્દુ પરિષદ નારણપુરાની વ્યાપક બેઠક યોજાઈ:57 કાર્યકર્તાઓએ ભાગ લીધો, આગામી કાર્યક્રમોની ચર્ચા

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) નારણપુરા જિલ્લાની એક વ્યાપક બેઠક રવિવાર, ૪ જાન્યુઆરી, 2026ના રોજ ધ નેશનલ સ્કૂલ, સોલા રોડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં કુલ 57 કાર્યકર્તાઓએ સક્રિય ભાગ લીધો હતો. આ બેઠક કુલ ત્રણ સત્રમાં યોજાઈ હતી. જેમાં પ્રાંત બેઠકની સમીક્ષા, અગાઉ યોજાયેલા કાર્યક્રમોનું મૂલ્યાંકન અને આગામી દિવસોમાં યોજાનારા કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, પ્રખંડ સમિતિની રચના અને પ્રવાસ અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં પ્રાંત માતૃશક્તિ સહસંયોજિકા ચંદ્રિકાબેન અને ભાગવત વિભાગ મંત્રી શ્રી ચિરાગભાઈએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 3:16 pm

પાટણની બી.ડી. સાર્વજનિક વિદ્યાલયે રાજસ્થાનનો પ્રવાસ યોજ્યો:વિદ્યાર્થીઓને ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનો પરિચય કરાવ્યો

શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી. ડી. સાર્વજનિક વિદ્યાલય, પાટણ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસના હેતુસર રાજસ્થાન રાજ્યનો પાંચ દિવસનો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો હતો. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને રાજસ્થાનના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ભૌગોલિક વારસાથી પરિચિત કરાવવાનો હતો. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ જયપુર, ઉદયપુર, જોધપુર, ચિત્તોડગઢ, સાવરિયા શેઠ, ખાટુશ્યામ અને પ્રાચીન જૈન દેરાસર સહિતના મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. આમેર કિલ્લો, સિટી પેલેસ, હવા મહેલ અને મહેરાનગઢ કિલ્લા જેવા પ્રમુખ સ્થળોનો પણ સમાવેશ થાય છે. માર્ગદર્શકો દ્વારા વિદ્યાર્થીઓને રાજસ્થાનની સાહસિક લોકકલાઓ અને પરંપરાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ શૈક્ષણિક પ્રવાસથી વિદ્યાર્થીઓમાં ઇતિહાસ પ્રત્યે રસ વધ્યો હતો. ઉપરાંત, ટીમવર્ક, શિસ્ત અને સામાજિક સહકાર જેવી ગુણવત્તાઓ પણ વિકસિત થઈ. સમગ્ર પ્રવાસ દરમિયાન શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને યોગ્ય માર્ગદર્શનની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. શાળાના આચાર્ય ડૉ. બળદેવભાઈ દેસાઈ અને વિદ્યાલય સમિતિએ જણાવ્યું હતું કે આવા શૈક્ષણિક પ્રવાસો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અત્યંત ઉપયોગી છે. તેમણે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, જે વિદ્યાર્થીઓ રાજસ્થાન પ્રવાસમાં સામેલ નહોતા, તેમના માટે ગુજરાતમાં મોઢેરા, બહુચરાજી મંદિર, પીપળીધામ, વણીન્દ્રધામ અને પોઇચા પાટડી જેવા સ્થળોએ એક દિવસીય પિકનિકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 3:14 pm

પાટણમાં પૂજ્ય લાડી લોહાણા સિંધી પંચાયતનો ત્રિવિધ કાર્યક્રમ:સ્નેહ મિલન, સાંસ્કૃતિક અને સન્માન સમારોહ યોજાયો

પાટણમાં પૂજ્ય લાડી લોહાણા સિંધી પંચાયત દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાર્ષિક સ્નેહમિલન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને વડીલોનો સન્માન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે સમાજના આગેવાનો, ભાઈઓ, બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓનું શીલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો પણ આપવામાં આવ્યા હતા. પૂજ્ય લાડી લોહાણા સિંધી પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠક્કર, કારોબારી સભ્યો ભોગીભાઈ જય રામજી કી, ભાવેશભાઈ જય રામજી કી, રાજુભાઈ ઠક્કર, ડોક્ટર ભરતભાઈ વીધાણી, રાજેશભાઈ આર ઠક્કર, નરેન્દ્રભાઈ જસલાણી, ચંદ્રકાંતભાઈ અને જગદીશભાઈ ઠક્કર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. પ્રમુખ હરેશભાઈ ઠક્કરે શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, લીલાશાહ મહારાજની કૃપાથી સિંધી સમાજ આજે દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે. વેપાર, ધંધા, રાજકીય અને સામાજિક દ્રષ્ટિએ સમાજ ઘણો આગળ આવ્યો છે. તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચંદ્રકુમાર કુંદનલાલ ઠક્કર અને ખુશીબેન અશ્વિનભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 3:13 pm

રાહી ફાઉન્ડેશન દ્વારા જમાલપુરમાં ખીચડી-છાશ વિતરણ:800થી વધુ શ્રમજીવી પરિવારોના બાળકો અને મહિલાઓને લાભ મળ્યો

રાહી ફાઉન્ડેશન દ્વારા જમાલપુર ખાતે 208મા ખીચડી વિતરણ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત 800થી વધુ શ્રમજીવી પરિવારના બાળકોને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ કાર્યક્રમ જમાલપુરના આંગણવાડી કેન્દ્ર, રામ રહીમ નો ટેકરો, મેલડી માતાના મંદિરના ખાંચામાં યોજાયો હતો. રાહી ફાઉન્ડેશનના જયેશ પરીખ, નિહારિકા પરીખ, ભદ્રેશ પટેલ, મહેન્દ્ર પટેલ, શરદ જાદવ, હેમંતભાઈ, ચેતનભાઈ, માર્કણ્ડભાઈ અને વિજય દલાલ સહિતના સભ્યોએ વિતરણ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમના સહયોગી રાજેશભાઈ અને બેલાબેન પરીખ પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આંગણવાડીની સંચાલિકા બહેનોએ પણ વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 3:11 pm

શિવ મહાપુરાણની કથા સાંભળી પરત ફરતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત:પાંડેસરાની વકીલાત કરતી યુવતીનું કરુણ મોત, 8 લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અને ધાર્મિક આસ્થા સાથે પલસાણામાં ચાલી રહેલી શિવ મહાપુરાણ કથા સાંભળવા ગયેલા શ્રદ્ધાળુઓ માટે રવિવારનો દિવસ કાળમુખો સાબિત થયો હતો. કથા પૂરી કરી પરત ફરી રહેલા ટેમ્પાને સચિન કપલેટા પાસે ટ્રકે જોરદાર ટક્કર મારતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક 27 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. કથામાંથી પરત ફરતી વખતે કાળમૂખી ટ્રકે ટક્કર મારીમળતી વિગતો અનુસાર, પાંડેસરા પોલીસ કોલોનીમાં રહેતા અને આણંદ ખાતે વકીલાતનો અભ્યાસ કરતા નીરૂબેન રાજેશભાઈ પ્રજાપતિ (ઉ.વ. 27) રવિવારે બપોરે પોતાની સોસાયટીના અન્ય 9 શ્રદ્ધાળુઓ સાથે ટેમ્પો ભાડે કરીને પલસાણા ખાતે આયોજિત શિવ મહાપુરાણ કથામાં ગયા હતા. કથાના સત્સંગ અને ભક્તિના આનંદ બાદ તમામ લોકો ખુશી-ખુશી ઘરે પરત ફરી રહ્યા હતા. ઓવરટેક કરવાના પ્રયાસમાં ટ્રકે ટેમ્પાને ફંગોળ્યોરાત્રિના સમયે જ્યારે આ ટેમ્પો સચિન કપલેટા ચેકપોસ્ટ પાસે આવેલા મુસ્તાક અમદાબાદી તવા ફ્રાયની સામેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતા એક ટ્રક ચાલકે ઓવરટેક કરવાના પ્રયાસમાં ટેમ્પાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટેમ્પો રોડ પર પલટી મારી ગયો હતો અને તેમાં સવાર લોકો લોહીલુહાણ હાલતમાં ફંગોળાયા હતા. વકીલાત કરતી યુવતીનું સારવાર દરમિયાન મોતઆ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા નીરૂબેન પ્રજાપતિનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ટેમ્પામાં સવાર અન્ય મુસાફરો મોનુ ગુપ્તા,વંદના પટેલ, મમતા તિવારી, રેખા ગુપ્તા, જ્યોતિ ગુપ્તા, ઘ્યાંતિ કહાર, રેખા, જ્યાદેવી પ્રજાપતિ ઇજાગ્રસ્ત થયા. આ તમામ 8 લોકોને તાત્કાલિક અસરથી સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વકીલાતનો અભ્યાસ કરતી આશાસ્પદ યુવતીના મોતના સમાચારથી પોલીસ કોલોની અને પાંડેસરા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 3:09 pm

પવનચક્કીના સાધનો લઈ જવા ખેતરમાંથી રસ્તો કાઢ્યો:રાજકોટના ગુંદાળા (જસ) ગામના ખેડૂતના પાક - પાઇપલાઇનને નુકશાન પહોંચતા મંત્રી બાવળીયા, કલેક્ટરને રજૂઆત

રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ગુંદાળા (જસ) ગામે ખેડૂતની વાડીમાંથી પવનચક્કીના સાધનો લઈ જવા માટે રસ્તો બનાવવાનું શરૂ કરવામાં આવતા જૂનીપર કંપની અને કૈલાશનાથ એજન્સી સામે જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે. જેમાં ખેતરમાંથી રસ્તો કાઢવામાં આવતા તુવેર અને જીરુંના પાકને નુકસાન પહોંચ્યું છે તો પાણીની પાઇપલાઇન પણ તૂટી જાય તેમ છે. જેથી ચોટીલાના ગામમાં મંજુર થયેલી પવનચક્કીના સાધનો વીંછીયાના ગામમાંથી રસ્તો કાઢી લઈ જવામાં આવી રહ્યા છે. તે બંધ કરી ન્યાય આપવામાં આવે તેવી માંગણી ખેડૂત દ્વારા મૂળ જસદણના અને રાજ્યના આશ્રમ રોજગાર મંત્રી બાવળીયા સહિતના સમક્ષ કરી છે. રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના ગુંદાળા (જસ) ગામે રહેતા દિનેશભાઈ મકવાણાએ જિલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, અમે ગામમાં ખેતીકામ કરી ઘર ગુજરાન ચલાવીએ છીએ. ગામમાં અમારી ખેતીની જમીન આવેલી છે. જ્યાંથી વિછીંયા - ધારૈઈનો રસ્તો પસાર થાય છે. રાજાશાહી વખતથી અમો તે રસ્તે ચાલીએ છીએ. અમારી સીમજમીનથી પશ્વિમ બાજુએ ધારૈઈનો સીમાડો આવેલો છે અને ધારૈઈના સીમાડામાં જુનીપર કંપની અને કૈલાસનાથ એજન્સી દ્વારા પવનચકકીની જગ્યા મંજુર થયેલી છે. જેથી કંપની તથા એજન્સીના કર્મચારીઓ દ્વારા અમારી માલીકીની સીમજમીનમાં અમારી કોઈ પુર્વ મંજુરી લીધા વિના પશ્વિમશેઢે વાવેલા જીરું અને તુવેરના વાવેલા પાકને નુકશાન પહોંચાડ્યું છે અને અમારી માલિકીની જમીનમાંથી રસ્તો પસાર કરવામાં આવ્યો છે. જેથી કંપનીના કર્મચારીઓને કહેલ કે, અમારી સીમજમીનમાં શા માટે રસ્તો કરો છો અને જો કોઈ કચેરી દ્વારા તમો કંપનીને મંજુરી આપવામાં આવેલ હોય તો હુકમની કોપી આપો. આ ઉપરાંત પવનચકકીની જગ્યા ચોટીલાના ધારૈઈ ગામે મંજૂર થયેલી છે જ્યારે અમારી સીમજમીનની હદ વિંછીયાના ગુંદાળા ગામે છે. આમ કંપનીના કર્મચારીઓએ અમારી સીમજમીનમાં બળજબરીથી રસ્તો બનાવ્યો છે તેમજ અમારી સીમજમીનમાં વાવેલ પાકને નુકશાન કર્યુ છે. આ બાબતે કંપનીના કર્મચારીઓને ઘણા સમજાવ્યા પંરતુ તેઓ અમારૂ કશું સાંભળતા નથી. કંપનીના કર્મચારી તેમજ એજન્સીના વ્યકિતઓ અવારનવાર અમોને કહે છે કે, રસ્તો ત્યાંથી જ કરવાનો છે અને ત્યાથી જ રસ્તો અમો મેળવીશુ. સીમજમીનમાં પશ્વિમ બાજુએ પાણીની પાઈપ લાઈન આવેલી છે અને કંપનીના ભારે વાહનો પસાર થાય તો પાણીની પાઈપ લાઈનને નુકશાન થાય તેમ છે અને પાઈપ લાઈન ટુટી જાય તો અમારી સીમજમીનમાં વાવેલ પાકને નુકશાન થાય તેમ છે. અમારી જમીનમાં રસ્તા બાબતે કોઈ કોર્ટ/કચેરીની હુકમોની નકલો કે રસ્તા બાબતે કોઈ દાવો,હુકમ થયેલ નથી તેમજ બતાવ્યા નથી. કંપની તથા એજન્સીના માણસો છેલ્લા એક અઠવાડીયાથી માનસીક અને શારીરીક ત્રાસ આપે છે. જેથી આ બાબતે અમારી રજુઆત ધ્યાને લઈને સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા તેમજ અમારી સીમજમીન ખાનગી હોય તેમજ ખરાબાની જમીન આવેલી નથી. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માટે કલેકટરને આવેદનની સાથે તેની નકલ મૂળ જસદણના અને રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયા, જસદણ ડેપ્યુટી કલેકટર તેમજ વિંછીયા મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટરને મોકલવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 3:09 pm

ચંદ્રુમાણામાં ભક્તોએ એક કરોડ મંત્રજાપ પૂર્ણ કર્યા:100 ભક્તોએ દોઢ વર્ષથી ઘરે ઇષ્ટદેવતાના જાપ કર્યા

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ખાતે રામદેવપીર ધૂણા મંડળના ભક્તો દ્વારા સોમવારે એક કરોડ એક લાખ મંત્રજાપ પૂર્ણ કરવામાં આવ્યા. દોઢ વર્ષ પહેલા શરૂ કરાયેલા આ જાપ પૂર્ણ થતાં ધાન્ય-કઠોળ ભગવાનને ધરાવી પ્રસાદ ગ્રહણ કરવામાં આવ્યો હતો. ધૂણા મંડળના મહેન્દ્રભાઈ વ્યાસે દોઢ વર્ષ અગાઉ ભગવાનની પૂજા અર્થે મંત્રજાપની પ્રેરણા આપી હતી. આ પ્રેરણાથી અમદાવાદ, મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, પાટણ સહિત વિવિધ જિલ્લાના સો ભક્તોએ તેમના ઘરે ઇષ્ટદેવ અને શક્તિના મંત્રજાપ દાળ, ચોખા, ઘઉં, મગ વગેરે ધાન્ય ચીજવસ્તુઓ સાથે કર્યા હતા.આ જાપ પૂર્ણ થતાં સોમવારે ભગવાનને ભોગ તરીકે ધાન્ય ધરાવી, તેનો પ્રસાદ બનાવી ભક્તોએ ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે ભજન-કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહેન્દ્રભાઈ વ્યાસે આ અંગે જણાવ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણ યજ્ઞોમાં જપ યજ્ઞ છે અને દરેકના જઠરમાં વૈશ્વાનર અગ્નિ સ્વરૂપે પણ ભગવાન છે, તેથી તેમની પૂજા માટે આ આયોજન કરાયું હતું. તેમણે આ દિવસે સ્વામી દયાનંદ મુંડિયા અને ગુરુ બ્રહ્માનંદ અંગે વ્યાખ્યાન પણ આપ્યું હતું.પૂર્ણાહુતિ પ્રસંગે નિરંજનભાઈ દવે, બળવંતસિંહ દરબાર, સુરેશભાઈ ઠાકોર, વિષ્ણુભાઈ યોગી સહિત જપ યજ્ઞ કરનાર ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 3:07 pm

રાહી ફાઉન્ડેશને હરસોલના 136 બાળકોને સ્વેટર અર્પણ કર્યા:ઠંડીથી રક્ષણ માટે ગરમ સ્વેટર, બિસ્કિટ અને નાસ્તો પણ અપાયો

તલોદ તાલુકાના હરસોલ મુ.પો. ખાતે આવેલી આશ્રમ શાળાના 136 જરૂરિયાતમંદ બાળકોને રાહી ફાઉન્ડેશન દ્વારા ગરમ સ્વેટર ભેટ આપવામાં આવ્યા હતા. ઠંડીથી રક્ષણ પૂરું પાડવા માટે આ સ્વેટર સાથે બાળકોને બિસ્કિટ અને નાસ્તો પણ વિતરણ કરાયો હતો. આ પ્રસંગે શાળાના સંચાલક મંડળને જયેશ પરીખ લિખિત પ્રેરણાત્મક પુસ્તક 'સુખનો સૂર્યોદય' પણ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું.આ વિતરણ કાર્યક્રમમાં રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ અને અનિલભાઈ ઉપસ્થિત રહ્યા હતા. શાળા દ્વારા આ કાર્યક્રમની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.સ્વેટર અને નાસ્તો મેળવીને બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 3:07 pm

અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી:કોર્ટની કામગીરી સ્થગિત, નવરંગપુરા પોલીસ દ્વારા બોમ્બ સ્કવોડ દ્વારા કોર્ટ કેમ્પસમાં તપાસ

ઇન્કમટેક્સ પાસે આવેલી અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે. અજાણ્યા શખ્સે ઇ-મેલ મારફતે કોર્ટના આઈડી પર મેલ કરીને ઉડાવવાની ધમકી આપી હતી. ધમકી મળતા કોર્ટની કામગીરી સ્થગિત કરવામાં આવી છે. આ ઇ-મેલ મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ નવરંગપુરા પોલીસે બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ સાથે કોર્ટમાં તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 3:04 pm

વરિષ્ઠ નાગરિકોની દાંડિયાત્રા:બીજા દિવસે નડિયાદ પહોંચી, લેખક અને નિવૃત્ત સશસ્ત્ર દળોના અધિકારી પણ જોડાયા

3 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી 2026 દરમિયાન વર્ષ 2026નું સ્વાગત કરવા માટે 62 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોનો એક સમૂહ દાંડી માર્ગ પર 400 કિમીથી વધુ પગપાળા યાત્રા શરૂ કરી છે. ભારતના વિવિધ ખૂણાઓમાંથી આવેલા સમાન વિચારધારાવાળા નાગરિકો કે જેમાં નિવૃત્ત સશસ્ત્ર દળોના અધિકારીઓ અને નાગરિકોનો સમાવેશ થાય છે. આ યાત્રા મહાત્મા ગાંધીજીની 1930ની ઐતિહાસિક દાંડી કૂચને ફરીથી અનુભવી શકવાના ઉદ્દેશથી સાબરમતી આશ્રમથી દાંડી સુધી કરવામાં આવશે. અંદાજે 405 કિલોમીટર લાંબી આ યાત્રા એ તમામ ગામો અને શહેરોમાંથી પસાર થશે જ્યાંથી ગાંધીજીએ મીઠા સત્યાગ્રહ દરમિયાન પગપાળા મુસાફરી કરી હતી.તેમનો આશય ગાંધીજીએ તે લાંબી યાત્રા દરમિયાન શારીરિક અને માનસિક રીતે શું અનુભવું હશે, તેનો થોડો વ્યક્તિગત અનુભવ મેળવવાનો છે. મહાત્મા ગાંધીજીએ કહેલું છે, “તમે જે બદલાવ દુનિયામાં જોવા માંગો છો, એ પહેલા તમે પોતે બનો.” આ યાત્રા દ્વારા યાત્રિકો આ વિચારને ભાષણો કે નારા દ્વારા નહીં, પરંતુ જીવંત અનુભૂતિ દ્વારા આત્મસાત કરવાનો પ્રયાસ કરે છે. ગામડાંમાંથી પસાર થતી આ યાત્રા ભારતને દૈનિક જીવનમાં વ્યસ્ત લોકો, શાંતિપૂર્વક ચાલતી પરંપરાઓ અને શહેરી જીવનથી સાવ અલગ ગતિએ વહેતો સમય દર્શાવે છે. યાત્રિકોને આશા છે કે આ અનુભવ તેમને ગાંધીયન ભાવનાને માત્ર દૂરથી પ્રશંસા કરવાની બદલે તેને અનુભવી શકવામાં મદદ કરશે. આજે વારંવાર ઉલ્લેખ થતી સ્વચ્છ ભારત, આત્મનિર્ભર ભારત અને ફિટ ઈન્ડિયા જેવી કલ્પનાઓ 1930 જેટલી જ આજેય પ્રાસંગિક છે. આ યાત્રિકોએ મહીનાઓથી તૈયારી કરી છે. આ યાત્રા દરમિયાન શક્ય હોય ત્યાં યાત્રિકો દાંડી પથ યાત્રી નિવાસોમાં રોકાશે. આ દરમિયાન શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ તથા ગામના આગેવાનો સાથે સંવાદ કરશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 3:00 pm

દમણમાં પેકેજિંગ યુનિટમાં ભીષણ આગથી ઘૂમાડાના ગોટેગોટા:કાચો માલ અને મશીનરી બળીને ખાખ, ગુજરાત અને દમણના ફાયર ફાઈટરો આગ બુઝાવવામાં જોતરાયા

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના ડાભેલ વિસ્તારમાં આવેલા એસ પેકેજીંગ યુનિટમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની તીવ્રતા એટલી વધુ હતી કે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેને પગલે સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઈઆગ લાગતા જ ફેક્ટરીમાં કામ કરતા કામદારોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો અને જીવ બચાવવા માટે ભાગદોડ મચી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દમણ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવા માટે દમણ ઉપરાંત ગુજરાતના નજીકના વિસ્તારોમાંથી પણ ફાયર ફાયટરોની વધારાની ટીમો બોલાવવાની ફરજ પડી હતી. તકેદારીના પગલાંફાયર વિભાગના જવાનોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આસપાસના અન્ય એકમોમાં આગ ન પ્રસરે તે માટે તકેદારીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સુરક્ષિત કરવામાં આવ્યો હતો. જાનહાનિ: સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. આર્થિક નુકસાન: પ્રાથમિક અંદાજ મુજબ પેકેજિંગ યુનિટમાં રાખેલો કાચો માલ અને મશીનરી બળીને ખાખ થઈ જવાથી મોટા પાયે આર્થિક નુકસાન થયું છે. આગનું કારણ: આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. આ અંગે વહીવટી તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 2:58 pm

જામનગર મનપા ટીમોના વિજય માટે પૂજન વિધિ કરાઈ:ભાવનગરમાં ઇન્ટર કોર્પોરેશન ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે

જામનગર મહાનગરપાલિકાની મેયર ઇલેવન અને કમિશ્નર ઇલેવન ટીમો ભાવનગર ખાતે યોજાનારી ઇન્ટર કોર્પોરેશન ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહી છે. આ ટીમોના વિજય માટે આજે, 5 જાન્યુઆરી, 2026ના રોજ ચેરમેનની કચેરીમાં પૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજન વિધિમાં મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, શાસકપક્ષ નેતા આશીષભાઈ જોષી અને દંડક કેતનભાઈ નાખવા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, કમિશ્નર ડી.એન. મોદી, ડેપ્યુટી કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કમિશ્નર મુકેશભાઈ વરણવા અને સિટી એન્જિનિયર ભાવેશ જાની પણ હાજર રહ્યા હતા. મેયર ઇલેવન અને કમિશ્નર ઇલેવન ટીમના ખેલાડીઓ તેમજ અન્ય કોર્પોરેટરોએ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી વિજય માટે પ્રાર્થના કરી હતી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 2:55 pm

ગોધરામાં વન વિભાગના ગોડાઉન પાસે સફાઈ શરૂ:દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ આગના જોખમ સામે કાર્યવાહી

ગોધરાના સિંગલ ફળિયા રોડ પર આવેલા વન વિભાગના ઘાસ ગોડાઉન આસપાસ સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ વન વિભાગે આ કાર્યવાહી કરી છે, જ્યાં સૂકા ઘાસ અને ઝાડીઓને કારણે આગ લાગવાનું મોટું જોખમ હતું. પશ્ચિમ વિસ્તારમાં આવેલા આ પાંચ ઘાસ ગોડાઉનની આસપાસ જંગલ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આના કારણે માત્ર આગનો ભય જ નહીં, પરંતુ ઝેરી જીવજંતુઓનો ત્રાસ પણ વધ્યો હતો, જે નજીકના ગીચ રહેણાક વિસ્તાર માટે મોટો ખતરો હતો. વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે શરૂ કરાયેલી આ સફાઈ કામગીરીથી સ્થાનિક રહીશોએ રાહત અનુભવી છે. તેમને આશા છે કે આનાથી મોટી દુર્ઘટના ટળી શકશે. વન વિભાગની આ સમયસૂચકતા પ્રશંસનીય છે. આ કામગીરી વહેલી તકે પૂર્ણ થવાથી ભવિષ્યમાં આગ જેવી દુર્ઘટનાઓથી કાયમી બચી શકાશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 2:40 pm

ભરૂચમાં નો-મેપિંગ નોટિસ: કોંગ્રેસે કલેક્ટરને રજૂઆત કરી:ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચ જિલ્લામાં SIR પ્રક્રિયા દરમિયાન નો-મેપિંગ અને લોજિસ્ટિક કારણોસર મતદારોને અપાયેલી નોટિસ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર તથા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસે માંગ કરી હતી કે, આ પ્રક્રિયા મતદાન મથક પર જ બીએલઓ મારફતે સરળ રીતે પૂર્ણ કરવામાં આવે, નહીં તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભામાં એક લાખથી વધુ મતદારોને નો-મેપિંગ બાબતે નોટિસ આપવામાં આવતા ભારે અસંતોષ ફેલાયો છે. આ મુદ્દે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકાના વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. કોંગ્રેસે રજૂઆતમાં જણાવ્યું હતું કે, અનેક મતદારોએ પહેલેથી જ બીએલઓ પાસે જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા હોવા છતાં તેમને ફરીથી નોટિસ આપવામાં આવી રહી છે. જેના કારણે વૃદ્ધ, બીમાર અને દિવ્યાંગ મતદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કોંગ્રેસે માંગ કરી હતી કે, જેમના દસ્તાવેજો જમા થયા છે તેમને નોટિસમાંથી મુક્તિ આપવામાં આવે તથા બાકી પ્રક્રિયા મતદાન મથક પર જ પૂર્ણ કરવામાં આવે જેથી કોઈ મતદાર મતાધિકારથી વંચિત ન રહે. આ બાબતે નાયબ ચૂંટણી અધિકારી પ્રદીપ જાખડે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભામાં કુલ 1,04,299 મતદારોને નો-મેપિંગના કારણે નોટિસ આપવામાં આવી છે. તેમાંથી અત્યાર સુધી અંદાજે 52 હજાર મતદારોના દસ્તાવેજો મળી ગયા છે. સિસ્ટમમાં નામ કે અટકમાં ફેરફાર જેવા મુદ્દાઓ હોય તેવા મતદારોના દસ્તાવેજો લેવામાં આવી રહ્યા છે અને જરૂરી હોય ત્યારે જ મતદારોને બોલાવવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 2:28 pm

બ્રહ્મક્ષત્રિય પ્રવાસ સમિતિએ લક્ષ્મીવિલાસ મહેલની મુલાકાત લીધી:અમદાવાદ, વડોદરા, ભરૂચના 45 જ્ઞાતિજનો મંત્રમુગ્ધ થયા

બ્રહ્મક્ષત્રિય પ્રવાસ સમિતિના સભ્યોએ વડોદરાના ઐતિહાસિક લક્ષ્મીવિલાસ મહેલની મુલાકાત લીધી. આ મુલાકાતમાં અમદાવાદના 37, વડોદરાના 4 અને ભરૂચના 4 સહિત કુલ 45 જ્ઞાતિજનો જોડાયા હતા. આ પ્રવાસ સમિતિએ રીસોર્ટ અને પિકનિકના પરંપરાગત ખ્યાલથી અલગ માર્ગ અપનાવીને સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત પર ભાર મૂક્યો હતો. જ્ઞાતિજનોએ 135 વર્ષ જૂના ભવ્ય લક્ષ્મીવિલાસ મહેલની ભવ્યતા નિહાળી હતી. આ મહેલ ભારતના રેતિયા પથ્થર, ઇટાલિયન મોઝેક, ઇસ્લામિક લેકર સીલિંગ, બેલ્જિયમના ઝુમ્મર અને ભારતીય પૌરાણિક પેઇન્ટિંગ્સથી સુસજ્જ છે. આર્કિયોલોજીકલ અને પ્રાકૃતિક ઇતિહાસને ઉજાગર કરતા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી પણ તેમણે નિહાળી હતી. આ ભવ્યતા જોઈને તમામ જ્ઞાતિજનો મંત્રમુગ્ધ થયા હતા.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 2:17 pm

ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રાધ્યાપક તાલીમ કાર્યક્રમ:સંશોધન પદ્ધતિઓ અને ટેકનિકલ લેખન પર 5 દિવસીય આયોજન

સુરતની ડૉ. એસ. એન્ડ એસ. એસ. ગાંધી એન્જિનિયરિંગ કોલેજના સિવિલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા 5 થી 9 જાન્યુઆરી, 2026 દરમિયાન પાંચ દિવસીય પ્રાધ્યાપક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. GUJCOST (ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી), ગાંધીનગર અને ડિરેક્ટોરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (DTE), ગાંધીનગર દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમનો વિષય રીસર્ચ મેથડોલોજી એન્ડ ટેકનિકલ રાઈટિંગ (RMTW-2026) છે. આ તાલીમ કાર્યક્રમમાં વિવિધ એન્જિનિયરિંગ કોલેજોના પ્રાધ્યાપકો ભાગ લેશે. પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU), NIT, VNSGU, SCET યુનિવર્સિટી અને સરકારી કોલેજોના નિષ્ણાતો તેમજ ફિલ્ડ એન્જિનિયરો વિવિધ વિષયો પર તેમના વક્તવ્ય આપશે. આ તાલીમનો મુખ્ય હેતુ ભાગ લેનારાઓને સંશોધન પદ્ધતિઓની વ્યવસ્થિત સમજ આપવાનો છે. આનાથી તેઓ ગુણાત્મક અને પરિમાણાત્મક સંશોધનને વૈજ્ઞાનિક અને સુઆયોજિત રીતે હાથ ધરી શકશે. તાલીમ દ્વારા સંશોધકોમાં યોગ્ય ડેટા સંગ્રહ, વિશ્લેષણ અને અર્થઘટનની કુશળતા વિકસાવવામાં આવશે. આ ઉપરાંત, ટેકનિકલ લેખન ક્ષમતામાં સુધારો કરીને સંશોધન લેખો, પ્રોજેક્ટ રિપોર્ટ્સ અને થીસીસને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તૈયાર કરવાની સમજ પણ આપવામાં આવશે. આ તાલીમ સંશોધકોની સંશોધન ક્ષમતા વધારવામાં અને ગુણવત્તાયુક્ત સંશોધન કાર્ય માટે તેમને સક્ષમ બનાવવામાં મદદરૂપ થશે. આ કોર્સ સંશોધન પદ્ધતિઓ, ટેકનિકલ લેખન અને ડેટા વિશ્લેષણ પર કેન્દ્રિત રહેશે. તેમાં સંશોધન શું છે, સંશોધનમાં કોપીરાઈટ, સંશોધન સમસ્યા કેવી રીતે મેળવવી, સંશોધન માટે વિષયની પસંદગી, એન્જિનિયરિંગમાં સંશોધન, સંશોધન રિપોર્ટ કેવી રીતે લખવો, જર્નલ અને કોન્ફરન્સ પેપર કેવી રીતે લખવા, સંદર્ભો કેવી રીતે દર્શાવવા અને સંશોધન માટે ગ્રાન્ટ કેવી રીતે મેળવવી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ પ્રાધ્યાપક તાલીમ કાર્યક્રમનું સમગ્ર આયોજન સિવિલ વિભાગના ડૉ. દર્શન મહેતા અને ડૉ. હરેશ ગોળકીયા દ્વારા વિભાગના વડા ડૉ. સહિતા વાયખોંમ અને પ્રિન્સિપાલ ડૉ. સંજય જોશીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 2:15 pm

માળિયાના 7 ગામના ખેડૂતોનો કલેક્ટર કચેરીએ હલ્લાબોલ:ખાનગી વીજ કંપની સામે વળતર મુદ્દે રોષ; વીજલાઇનના પોલ માટે પૂરતું વળતર આપવા માગ

મોરબી જિલ્લાના માળીયા (મી) તાલુકાના સાત ગામના ખેડૂતોએ આજે મોરબી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોએ ભાજપના આગેવાનો સાથે મળીને ખાનગી વીજ કંપનીની લાઇનના પોલ ઊભા કરવા સામે પૂરતા વળતરની ગ કરી છે. કચ્છથી જામનગર જતી ખાનગી વીજ કંપનીની વીજ લાઇન માળીયા (મી) તાલુકાના ઘણા ગામોના ખેતરોમાંથી પસાર થઈ રહી છે. ખેડૂતોને વીજપોલ ઊભા કરવા માટે નોટિસો મળી છે, પરંતુ વળતર અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂત આગેવાન નંદલાલ કૈલાએ આ માહિતી આપી હતી. આજે નાનાભેલા, મોટાભેલા, નાના દહીસરા, મોટા દહીસરા, ભાવપર અને બોડકી સહિતના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો ભાજપના આગેવાનો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગત નવેમ્બર અને ડિસેમ્બર મહિના દરમિયાન રિલાયન્સની વીજ લાઇનના પોલ ઊભા કરવા માટે નોટિસો આપવામાં આવી હતી. નાનાભેલા ગામના સરપંચ ભાવિકભાઈ કાવરે જણાવ્યું હતું કે, ખાનગી કંપની વીજ ઉત્પાદન કરીને કમાણી કરવાની છે, ત્યારે ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તેવી વ્યવસ્થા થવી જોઈએ. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું કે તેઓ વિકાસના કામનો વિરોધ કરતા નથી, પરંતુ તેમની ખેતીની જમીન ઓછી થાય છે, બજાર કિંમતમાં ઘટાડો થાય છે, ફળદ્રુપતા ઘટે છે અને વીજ કરંટ લાગવાનો ભય રહે છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વળતર આપવું જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 2:01 pm

ભાવનગર એરપોર્ટ સજ્જ:બોઇંગ-737 ઉતારવાની મળી મંજૂરી મળતા ફ્લાઇટ્સ શરૂ થવાના સંકેત

ભાવનગર એરપોર્ટ 'સુમસામ', વિકાસની વાતો વચ્ચે કનેક્ટિવિટી છીનવાતા કોંગ્રેસ આક્રમક, આંદોલનની ચીમકી ભાવનગરવાસીઓ માટે હવાઈ સેવાને લઈને સારા સમાચાર સામે આવ્યા છે ભાવનગર એરપોર્ટ પર લાંબા સમયથી ખોરવાયેલી હવાઈ સેવાઓ ફરી શરૂ થવાની આશા જાગી છે, જે જાન્યુઆરીથી ઇન્ડિગો અને માર્ચથી મુંબઈની ફ્લાઇટ શરૂ થવાની શક્યતા છે, તેમજ એરપોર્ટને હવે મોટા વિમાનો ઉતારવાનું લાયસન્સ પણ મળી ગયું છે જોકે, ફ્લાઇટ્સ શરૂ થવામાં થતા વિલંબને લઈ ચેમ્બર ઓફ કોમર્સમાં રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે કોંગ્રેસે સરકાર પર નિષ્ક્રિયતાનો આક્ષેપ કરી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, ભાવનગર-મુંબઈ ફ્લાઇટ ફરી શરૂ થવાની પ્રબળ શક્યતા એરપોર્ટ ડિરેક્ટર તપન નાયકે ભાવનગર એરપોર્ટની આગામી ફ્લાઇટ શિડ્યુલ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, લાંબા સમયથી સ્થગિત થયેલી શિડ્યુલ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની પ્રક્રિયા ગતિમાં છે ટેકનિકલ કારણો કે પાયલટ્સની અછતને લીધે અટકેલી ઈન્ડિગોની સેવાઓ જાન્યુઆરી મહિનામાં શરૂ થવાની સંભાવના છે આગામી 29 માર્ચથી શરૂ થતા સમર શિડ્યુલમાં ભાવનગર-મુંબઈ ફ્લાઇટ ફરી શરૂ થવાની પ્રબળ શક્યતા છે. મોટા વિમાનો માટે એરપોર્ટ સજ્જ ​ભાવનગર એરપોર્ટ હવે માત્ર નાના જ નહીં પણ મોટા કોમર્શિયલ વિમાનો ઉતારવા માટે પણ સક્ષમ છે ​અમને DGCA દ્વારા બોઇંગ 737 અને એરબસ 320 જેવા મોટા વિમાનો ઉતારવા માટેનું લાયસન્સ મળી ગયું છે, ​હાલમાં શિડ્યુલ ફ્લાઇટ્સ ભલે મર્યાદિત હોય, પરંતુ વેન્ચુરા એર સર્વિસ દ્વારા ભાવનગર-સુરત વચ્ચે દરરોજ ફ્લાઇટ ચાલી રહી છે આ ઉપરાંત અઠવાડિયામાં સરેરાશ 10 જેટલી નોન-શિડ્યુલ ફ્લાઇટ્સ દિલ્હી, મુંબઈ અને બેંગ્લોર જેવા શહેરોથી અવરજવર કરી રહી છે, જૂન મહિના માં ફ્લાઈટ બંધ થઈ આ અંગે ચેમ્બર પ્રમુખ પ્રકાશ ગોરસીયા સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે દિલ્હી રૂબરૂ પણ કરી છે અને અલગ અલગ વિભાગમાં પણ કરી છે, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને પણ રજુઆત કરી છે, ઉડયન મંત્રી ને પણ રજૂઆત કરી છે, જૂન મહિના માં ફ્લાઈટ બંધ થઈ ત્યારે થી જ રજુઆત કરી છે, અનેક પ્રશ્નો હતા જેમાં નવા એરપોર્ટ શરૂ થવાનું હતું, સ્લોટનો પ્રશ્નો હતો, ફ્લાઈટ ની કેન્સલો થવાના પ્રશ્નો સહિત ના કારણે આ લંબાતું જાય છે. ભાવનગર સાથે ઓરમાયું વર્તન' શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલેએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વિકાસની વાતો વચ્ચે ભાવનગરનું એરપોર્ટ 'સુમસામ' ભાસી રહ્યું છે, રાજકોટ જેવા શહેરોમાં નવી ફ્લાઇટ્સ અપાય છે, જ્યારે ભાવનગરની મુંબઈ-પુણે જેવી જૂની કનેક્ટિવિટી પણ છીનવી લેવાઈ છે. ભાવનગરના વતની એવા કેન્દ્રીય મંત્રી અન્ય શહેરો માટે સક્રિય છે પણ પોતાના માતૃ વતન માટે તેમની મહેનત 'ઝીરો' છે, કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે ​ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિક વેપારને આર્થિક ફટકો પડી રહ્યો છે, મનોહરસિંહ ગોહિલે ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં એર કનેક્ટિવિટી તાત્કાલિક શરૂ કરવામાં નહીં આવે, તો કોંગ્રેસ પક્ષ જનતા અને ઉદ્યોગપતિઓને સાથે રાખી ઉગ્ર આંદોલન કરશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 1:54 pm

પંચમહાલમાં પાક નુકસાન સહાયથી 18,000 ખેડૂતો વંચિત:કિસાન સંઘ 12 જાન્યુઆરીએ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરશે

પંચમહાલ જિલ્લામાં પાક નુકસાન સહાયથી 18,000 ખેડૂતો વંચિત રહેતા ભારતીય કિસાન સંઘે આંદોલનની જાહેરાત કરી છે. આગામી 12 જાન્યુઆરી, 2026ના રોજ ગાંધીનગરના સેક્ટર-17 ખાતે વિધાનસભા સામે ખેડૂતો વિશાળ શક્તિ પ્રદર્શન કરશે. સંઘના હોદ્દેદારોએ મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે ઓક્ટોબર-2025માં થયેલા કમોસમી વરસાદ બાદ જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજમાં અન્યાય થયો છે. જિલ્લામાં અંદાજે 60, 000 અસરગ્રસ્ત ખેડૂતોએ સહાય માટે ઓનલાઈન અરજી કરી હતી. જોકે, જિલ્લા ખેતીવાડી અધિકારીની કથિત મનસ્વી કામગીરીને કારણે માત્ર 42, 000 અરજીઓ જ માન્ય રખાઈ છે. આના પરિણામે 18,000 જેટલા સાચા ખેડૂતો તેમના હક્કની સહાયથી વંચિત રહી ગયા છે. આ મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, કિસાન સંઘની અન્ય 23 જેટલી પડતર માંગણીઓ પણ છે. જેમાં ખાનગી કૃષિ કોલેજોને મંજૂરી આપતા પરિપત્ર રદ કરવા, વારસદારોને સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ આપવી, ટોલટેક્સમાં 20 કિમી સુધી સ્થાનિકોને રાહત આપવી અને વીજ ટાવર માટે જમીનનું યોગ્ય વળતર આપવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દે સરકાર સામે મોરચો માંડવામાં આવશે. કિસાન સંઘના પ્રમુખ ખુમાનસિંહ ચૌહાણ અને મહામંત્રી સુરેન્દ્રસિંહ રાઉલજીની આગેવાનીમાં જિલ્લાભરમાંથી હજારો ખેડૂતો આ રેલીમાં જોડાઈને સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 1:48 pm

ભરૂચની જુમ્મા મસ્જિદમાં ચક્રધર સ્વામીના જન્મસ્થળનો વિવાદ:'સમળી વિહાર' જૈન મંદિર હોવાના દાવા સાથે હિન્દુ સંતો અનશન પર ઉતર્યા, ASI ગેરકાયદે પ્રવૃતિ રોકે તેવી માગ

ભરૂચની જુમ્મા મસ્જિદને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. અખિલ ભારતીય સંત સમિતિએ આ સ્થળ શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કર્યો છે. સમિતિએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સ્થળની મૂળ ઓળખ બદલવાના પ્રયાસોના આક્ષેપ સાથે આજથી અનિશ્ચિતકાલીન ઉપવાસ શરૂ કર્યા છે. ભરૂચની હેડ પોસ્ટ ઓફિસ નજીક આવેલી આ જુમ્મા મસ્જિદ મૂળ સમળી વિહાર જૈન મંદિર તરીકે ઓળખાતી હતી, જ્યાં શ્રી ચક્રધર સ્વામીનો જન્મ થયો હોવાનું મનાય છે. આ ઐતિહાસિક સ્થળ ભારત સરકારની માલિકીનું છે અને પુરાતત્ત્વ વિભાગ દ્વારા સંરક્ષિત રાષ્ટ્રીય સ્મારક છે. સંત સમિતિનો આરોપ છે કે, નિયમોનું ઉલ્લંઘન કરીને મુસ્લિમ સમાજના લોકો દ્વારા અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે અને સ્થળની મૂળ ઓળખ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ વિરોધ નોંધાવવા, સ્થળને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે શહેરના શક્તિનાથ મહાદેવ મંદિરના ગ્રાઉન્ડ ખાતે ઉપવાસ કાર્યક્રમ યોજાયો હતો. આ અનશન કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિના સંત અવિચલ દેવાચારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભરૂચના સ્વામી મુક્તાનંદ, સ્વામી રાજ રાજેશ્વરીજી મહારાજ સહિત અનેક સંતો અને મહંતોએ ઉપવાસનો આરંભ કર્યો હતો. ઉપસ્થિત સંતોએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ધરોહરની સુરક્ષા અને તેના ઐતિહાસિક મહત્વને જાળવવું એ દરેક નાગરિકની ફરજ છે. તેમણે તમામ સનાતન હિન્દુઓને આ મુદ્દે સહયોગ આપવા અપીલ કરી હતી. સંતોએ સરકાર અને પુરાતત્ત્વ વિભાગને નિયમોનું કડક પાલન કરાવવા તથા રાષ્ટ્રીય ધરોહરની મૂળ ઓળખ જાળવવા તાત્કાલિક પગલાં લેવા માંગણી કરી હતી. આ અંગે સંત અવિચલ દેવાચારીએ જણાવ્યું કે, આ ધરોહરમાં અન્ય કોઈ સંસ્કૃતિનું ચિહ્ન નથી, તેમ છતાં પુરાતત્ત્વ વિભાગે તેને પોતાના કબજામાં લીધું છે, જેથી તેની સંપૂર્ણ જવાબદારી પુરાતત્ત્વ વિભાગની બને છે. જો તેમાં કોઈ ધાર્મિક પ્રવૃત્તિ થતી હોય તો તે બંધ કરવી જોઈએ. તેમજ જે નવું બાંધકામ અગાઉ ન હતું અને બાદમાં થયું હોય તે તાત્કાલિક દૂર કરવું જોઈએ. આ સ્થળને માત્ર એક પુરાતત્ત્વ સ્મારક તરીકે જ જાળવવામાં આવે એવી અમારી તમામ સંતો અને હિન્દુ સમાજની માંગણી છે. અમારી માંગ વહેલી તકે સંતોષાય તે સરકારના પણ હિતમાં છે. ઉલ્લેખનીય છે કે,જુમ્મા મસ્જિદ જેવી રાષ્ટ્રીય ધરોહરને લઈને ઊભો થયેલો આ વિવાદ આગામી દિવસોમાં વધુ ગરમાઈ પકડે તેવી શક્યતા છે, ત્યારે હવે સરકાર અને પુરાતત્ત્વ વિભાગ દ્વારા કયા પગલાં લેવામાં આવે છે તેની ઉપર સૌની નજર મંડાયેલી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 1:47 pm

ચોટીલા હાઈવે પર સરકારી જમીન પર બુલડોઝર ફેરવાયું:અમરદીપ હોટલ સહિત આસપાસનું કરોડોનું ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરાયું

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના મઘરીખડા ગામે નેશનલ હાઈવે 47 પર સરકારી જમીન પર થયેલા દબાણ સામે તંત્રએ કાર્યવાહી કરી છે. ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને મામલતદારની સંયુક્ત ટીમે આજે આકરા પગલાં ભરતા રૂ. 16 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાઈ છે. મઘરીખડા ગામના સરકારી સર્વે નંબર 86/1માં આશરે 10 એકર જેટલી જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને 'અમરદીપ હોટલ' ચલાવવામાં આવતી હતી. હોટલ માલિક છત્રજીતભાઈ રાવતુભાઈ ખાચર (રહે. નાના કાંધાસર) દ્વારા આ સરકારી જમીનનો વાણિજ્યિક ઉપયોગ કરાતો હતો. તંત્ર દ્વારા જેસીબી અને બુલડોઝરની મદદથી ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. જેમાં અમરદીપ હોટલનું મુખ્ય પાકું બાંધકામ (આશરે 1100 ચો.મીટર), હાઈવેને અડીને આવેલી પંચરની દુકાન, ટોઇલેટ અને બાથરૂમ બ્લોક, તેમજ પાણીના ટાંકા અને અન્ય ઓરડીઓનો સમાવેશ થાય છે. આ કામગીરી દ્વારા અંદાજે રૂ. 16,37,61,000 (સોળ કરોડ સાડત્રીસ લાખ એકસઠ હજાર)ની કિંમતની સરકારી જમીન પરથી દબાણ હટાવી તેને સંપૂર્ણપણે ખુલ્લી કરવામાં આવી છે. આ દબાણ ઘણા સમયથી હોવાનું ધ્યાને આવતા, નાયબ કલેકટર દ્વારા આ નિર્ણય લેવાયો હતો. આટલા વર્ષો દરમિયાન થયેલા ગેરકાયદેસર વપરાશ બદલ વાર્ષિક બિનખેતીના જંત્રીના 1 ટકા લેખે વસૂલાત કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. તંત્રની આ આકરી કાર્યવાહીથી પંથકમાં સરકારી જમીન પચાવી પાડનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 1:25 pm

ઉ.ગુ. પાંચગામ લેઉવા પાટીદાર મંડળનો સ્નેહ મિલન સંપન્ન:અમદાવાદમાં બાળકોના કાર્યક્રમોથી સમાજ પ્રભાવિત

અમદાવાદમાં ઉત્તર ગુજરાત પાંચગામ લેઉવા પાટીદાર મંડળનો વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ ૪ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં મંડળના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં વસવાટ કરતા સંડેર, મણુંદ, ભાન્ડુ, વાલમ અને બાલીસણા ગામના લેઉવા પાટીદાર સમાજના સભ્યો દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સ્નેહ મિલન માટે એકત્ર થયા હતા. કાર્યક્રમ દરમિયાન જુનિયર કેજી અને સિનિયર કેજીમાં અભ્યાસ કરતા બાળકો તેમજ ધોરણ ૧ થી ૯ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, બાળકો માટે વક્તૃત્વ સ્પર્ધા અને વિવિધ રમતગમત સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સન ટુ હ્યુમન ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ દ્વારા ફેબ્રુઆરીમાં યોજાનાર શિબિર અંગેની જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે ડૉ. હિતેશ પટેલ (MDDGO), પાર્થ ભરતભાઈ અમીન, પ્રિયેન પટેલ, દુર્ગેશ પટેલ અને જીંદલ મહેન્દ્રભાઇ પટેલને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સભ્યો માટે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. મંડળના કારોબારી સભ્યો, પદાધિકારીઓ અને પાંચ ગામના લેઉવા પાટીદાર સમાજના સભ્યોની મોટી ઉપસ્થિતિથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 12:56 pm

જામનગરમાં ઘાસચારો વેચનારાઓએ મનપા કર્મચારી પર હુમલો કર્યો:રણજીતસાગર રોડ પર પાવડો લઈને દોડ્યા, પોલીસ ફરિયાદની તજવીજ

જામનગરમાં મહાનગરપાલિકાના કર્મચારી પર હુમલાનો પ્રયાસ થયો છે. રણજીતસાગર રોડ પર ઘાસચારો વેચનારા બે શખ્સોએ ફરજ પરના કર્મચારીને પાવડો લઈને મારવા દોટ મૂકી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. મહાનગરપાલિકા દ્વારા કેટલ પોલિસી અંતર્ગત ઘાસચારો વેચનારાઓ સામે જપ્તીકરણની કાર્યવાહી ચાલી રહી છે. આ કાર્યવાહીના ભાગરૂપે આજે સવારે રણજીતસાગર રોડ પર આવેલા મારુ કંસારા હોલ પાસે મનપાની ટીમ પહોંચી હતી. મહાનગરપાલિકાના એસ.એસ.આઈ. દીપકભાઈ પરમાર ઘાસચારો જાહેરમાં વેચનારાઓ સામે જપ્તીકરણની કાર્યવાહી કરવા ગયા હતા. તે દરમિયાન બે ઘાસ વિક્રેતાઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પાવડો લઈને દીપકભાઈ પરમારની પાછળ દોડ્યા હતા, જેના કારણે નાસભાગ થઈ હતી. આ હંગામાને કારણે રણજીતસાગર રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ તંત્રને ઘટનાસ્થળે દોડી આવવું પડ્યું હતું. મહાનગરપાલિકાના કર્મચારી પર હુમલાના પ્રયાસ અને અપશબ્દોના મામલે આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા અને ઝોનલ ઓફિસર ઉર્વશીબેન ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એસ.એસ.આઈ. દીપકભાઈ પરમાર દ્વારા પોતાના પર હુમલાનો પ્રયાસ અને ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 12:54 pm

ભાવનગર-સોમનાથ હાઈવે પર સિંહણનું મોત:હેમાળ ગામ નજીક અજાણ્યા વાહન અડફેટે ગંભીર ઈજા થતાં મૃત્યુ નીપજ્યું

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર મોડી રાત્રે એક સિંહણનું અજાણ્યા વાહન અડફેટે મોત થયું છે. રોડ ક્રોસ કરતી વખતે વાહનની ટક્કરથી સિંહણને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેણે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. વનવિભાગ દ્વારા મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ જાફરાબાદ રેન્જ વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આરએફઓ, ફોરેસ્ટ ગાર્ડ અને ટ્રેકર્સ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી છે. વનવિભાગે અજાણ્યા વાહનચાલકને શોધવા માટે કવાયત હાથ ધરી છે અને હાઈવે પરના તેમજ હોટલના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. રાજુલા-જાફરાબાદ પંથકમાંથી પસાર થતો ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે સિંહો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. અગાઉ પણ આ વિસ્તારમાં સિંહબાળ સહિત અનેક વન્યપ્રાણીઓના અકસ્માતમાં મોત થયા છે. ટીંબી, છેલણા, હેમાળ, દુધાળા, નાગેશ્રી, કાગવદર, ચારનાળા, હિંડોરણા અને કડિયાળી જેવા હાઈવે નજીકના ગામડાઓમાંથી સિંહોના રોડ ક્રોસ કરવાના બનાવો રોજિંદા બનતા રહે છે, જેના કારણે સિંહોની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. સિંહપ્રેમી વિપુલભાઈ લહેરીએ આ ઘટનાને દુઃખદ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, વનવિભાગે અકસ્માત કરનાર વાહનચાલકને ઝડપથી શોધીને કાર્યવાહી કરવી જોઈએ. તેમણે નેશનલ હાઈવે પર વધતી અવરજવરને ધ્યાનમાં રાખીને વનવિભાગ સિંહોને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવે અને પેટ્રોલિંગ વધારે તેવી માંગણી પણ કરી હતી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 12:23 pm

ગાંધીજીના કોચરબ આશ્રમમાં કજરા રે...કજરા રે...:વિદ્યાપીઠના કર્મચારીના દીકરાના લગ્ન યોજ્યા, ડીજેના તાલે મહેમાનો નાચ્યાં અને જમણવાર પણ કર્યો

મહાત્મા ગાંધીએ અમદાવાદમાં સ્થાપેલા કોચરબ આશ્રમમાં લગ્નનું પ્રસંગનું આયોજન થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગનો આયોજનનો વીડિયો વાઇરલ થયો છે. આ લગ્ન પ્રસંગમાં ડીજેમાં કજરા રે...કજરા રે...સહિતના સોંગ્સ પર મહેમાનો ડાન્સ કરતા પણ નજરે પડી રહ્યા છે. માત્ર એટલું જ નહીં ત્યાં જમણવારનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. કોચરબ આશ્રમમાં ગુજરાત વિદ્યાપીઠના કર્મચારીના દીકરાના લગ્ન હતા. ગઈકાલે સંગીત સંધ્યા અને આજે લગ્નનું આયોજન કરાયું છે. અત્યારે પણ કોચરબ આશ્રમમાં પ્રસંગ ચાલી રહ્યો છે. ગુજરાત વિદ્યાપીઠના કર્મચારીઓને પ્રસંગ માટે આશ્રમ ભાડે અપાતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે કોંગ્રેસે ગંભીર આક્ષેપ કરી ગાંધીજીની વિચારધારાનો છેદ ઉડ્યો હોવાનો જણાવી રહી છે. વીડિયો વાઇરલ થતા કોની મંજૂરીથી આયોજન થયું તેને લઈને સત્તાધિશો સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા તે સૌથી પહેલા કોચરબ ખાતેના આશ્રમમાં રહ્યા હતા. જે બાદ કોચરબ આશ્રમ સત્યાગ્રહ આશ્રમ તરીકે ઓળખાયો. તમામ પ્રકારના મોટા આયોજનો કોચરબ આશ્રમથી થયા હતા. ત્યારબાદ ગાંધીજી સાબરમતી આશ્રમ આવ્યા હતાં. કોચરબ આશ્રમ ગાંધીજી અને સત્યાગ્રહ ની ઐતિહાસિક ધરોહર છે. ગાંધીજીની વિરાસતને નુકશાન પહોંચાડવાનું કામ સત્તાધીશોએ કર્યું છે. વધુમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગાંધીજીની વિરાસતને નુકસના થાય તેવું કામ વખોડવા લાયક છે. સત્તાધીશોએ જે કૃત્ય કર્યું છે, એ માફીને લાયક નથી. ઐતિહાસિક ધરોહરનું માન સન્માન જણવાય તે ખૂબ જરૂરી છે. ગાંધીજીની વિરાસતને નુકશાન થાય તેવું સુનિયોજિત આયોજન થઈ રહ્યું છે.આ નુકશાન ભાજપના સત્તાધિશો અને દેશના સત્તાધીશો કરી રહ્યા છે. કોચરબઆશ્રમ ભારતની આઝીદીની ચળવળના નેતા ગાંધીજી દ્વારા શરૂ કરેલો પ્રથમ આશ્રમ હતો. 25 મે, 1915ના રોજ તેની સ્થાપના કરાઈ હતી. દક્ષિણ આફ્રિકાથી આવ્યા પછી, તેમના દ્વારા શરૂ કરેલ પ્રથમ આશ્રમ હતો. વિદ્યાર્થીઓ-નવયુવાનો માટે સત્યાગ્રહ, સ્વરોજગાર, સ્વદેશી ચીજોના હિમાયતી, ગરીબો, મહિલાઓ અને અસ્પૃશ્યોના ઉદ્વાર માટેના કાર્યો, જાહેર શિક્ષણ, જાહેર શૌચાલય અંગેના ગાંધીજીના વિચારોના અભ્યાસ માટેનું મુખ્ય કેન્દ્ર હતું. આશ્રમનું નિર્માણ સાદગી, સમાનતા જેવા સિદ્ધાંતો પર કરાયું હતું. સત્યાગ્રહ આશ્રમ કેમ કહેવાયો? ગાંધીજી એવું માનતા હતા કે, વ્યક્તિગત ગુણવિકાસ અને સામાજિક પરિવર્તન સાધવા માટે સત્યાગ્રહ આવશ્કય છે. આથી તેમણે આશ્રમને સત્યાગ્રહીઓની પ્રયોગશાળા બનાવ્યો. એમના મનમાં આશ્રમ સત્યાગ્રહનું તાલીમકેન્દ્ર બને એવી પણ કલ્પના હતી. એમણે લખ્યું છે કે, ''મિત્રોની સાથે સારી પેઠે ચર્ચા કરી, છેવટે આશ્રમનું નામ સત્યાગ્રહાશ્રમ રાખવામાં આવ્યું... મારું જીવન સત્યની શોધને અર્પાયેલું છે. તેની શોધને સારું જ જીવવવાનું અને જરૂર જણાય તો મરવાનો આગ્રહ છે.'' અહીં જ ગાંધીજીએ પહેલો ઉપવાસ અને ચંપારણનો સત્યાગ્રહ કર્યોમહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમ કોચરબ ખાતેથી સ્વરાજ માટેની લડતના મંડાણ કર્યા હતાં. આ આશ્રમમાં ગાંધીજીએ સત્ય, અહિંસા અને સ્વદેશી સહિતના 11 વ્રતો પાળવાના રાખ્યા હતાં. એ દરમિયાન આશ્રમમાં રહેતાં છોકરાઓમાંથી એક છોકરો કોઈ બાબતે ખોટું બોલ્યો હતો એના કારણે ગાંધીજીએ ઉપવાસ કર્યો હતો. જોકે, પાછળથી ખોટું બોલ્યો હોવાનું તેને કબૂલ્યું હતું અને પછી સાંજે ગાંધીજીએ સાંજે ભોજન લીધું હતું. આ પછી ગાંધીજીએ ચંપારણનો સત્યાગ્રહ પણ અહીંથી જ કર્યો હતો. ગુજરાત વિદ્યાપીઠ આશ્રમનું સંચાલન કરે છેવર્ષ 1950 સુધી કોચરબ આશ્રમ તેની મૂળ સ્થિતિમાં જ હતો. ભારતમાં ગાંધીજીએ સ્થાપેલાં પ્રથમ આશ્રમ તરીકે જાળવી રાખી સ્મારક રૂપે વિકસાવવા તે વખતની મુંબઈ સરકારે તેને સ્મારકનો દરજ્જો આપી કાયમી ધોરણે જાળવી રાખવાનું જાહેર કર્યું. આ પછી સત્યાગ્રહ સ્મારક તરીકે 04 ઓક્ટોબર, 1953ના રોજ મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી મોરારજી દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 1953થી કોચરબ આશ્રમનું સંચાલન ગાંધીજી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 12:21 pm

નેશનલ હાઈવે પરથી 73 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:નવસારી LCBએ 83.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલકને પકડ્યો

નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી રોકવા માટે LCB પોલીસે કાર્યવાહી કરી છે. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર બોરીયાચ ટોલ નાકા પાસેથી પોલીસે રૂ. 73.45 લાખની કિંમતની વિદેશી દારૂની 14,712 બોટલો ભરેલી ટ્રક ઝડપી પાડી છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કરાયા છે. નવસારી LCB પી.આઈ. વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ હાઈવે પર પેટ્રોલિંગ અને વોચમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ નારાયણસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ અર્જુનકુમાર હર્ષદભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, સેલવાસથી દારૂ ભરીને એક ટ્રક અમદાવાદ તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે બોરીયાચ ટોલ નાકા પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ ટ્રક (GJ 25 U 2581) ને રોકવામાં આવી હતી. પોલીસે ટ્રકની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ અને રમનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલા મુદ્દામાલમાં 14,712 નંગ દારૂ અને રમની બોટલોનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 73,45,200 અંદાજવામાં આવી છે. આ ઉપરાંત, રૂ. 10,00,000ની કિંમતની ટાટા મોટર્સ ટ્રક અને રૂ. 15,000ની કિંમતના 2 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. આમ, પોલીસે કુલ રૂ. 83,60,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે સ્થળ પરથી ટ્રક ચાલક લખમણ વેજાભાઇ ખુંટી (રહે. ખાપટ, પોરબંદર)ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ દારૂનો જથ્થો પોરબંદરના મેરૂ ઉર્ફે રામદેવ ઓઘડભાઇ ખુંટીએ ભરાવ્યો હતો અને તે પોતે ફોર વ્હીલ ગાડીમાં પાયલોટીંગ કરી રહ્યો હતો. આ કેસમાં મેરૂ ઉર્ફે રામદેવ ઓઘડભાઇ ખુંટી (ટ્રક માલિક અને મુખ્ય સૂત્રધાર), સેલવાસનો એક અજાણ્યો શખ્સ (દારૂનો જથ્થો ભરી આપનાર) અને જૂનાગઢનો એક અજાણ્યો શખ્સ (દારૂ મંગાવનાર) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વોન્ટેડ આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 12:08 pm

મહીસાગરમાં ગાઢ ધુમ્મસ છવાયું:વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને લાઇટ ચાલુ રાખવી પડી, ઠંડા પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો

મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ઠંડા પવનો ફૂંકાવાને કારણે શિયાળાની ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. સંતરામપુર અને લુણાવાડા સહિતના અનેક તાલુકાઓમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. ધુમ્મસના કારણે મુખ્ય માર્ગો અને ગ્રામ્ય વિસ્તારોમાં વિઝિબિલિટી ઘણી ઓછી રહી હતી. વહેલી સવારે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દ્વિચક્રી વાહનચાલકો, એસટી બસો અને ખાનગી વાહનો ધીમી ગતિએ ચલાવવા પડ્યા હતા. ઘણા વિસ્તારોમાં વાહનવ્યવહાર હેડલાઇટ ચાલુ રાખીને કરવામાં આવ્યો હતો, જેના કારણે અકસ્માતની શક્યતાઓ અંગે ચિંતા જોવા મળી હતી. જિલ્લામાં ઠંડા પવનના ઝોકા પણ અનુભવાયા હતા, જેનાથી ઠંડી વધુ તીવ્ર બની હતી. સવારના સમયે લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં, સ્વેટર, જેકેટ અને મફલર પહેરીને બહાર નીકળ્યા હતા. ચા-કોફી અને ગરમ પીણાંની દુકાનો પર લોકોની ભીડ જોવા મળી હતી. શિયાળાની આ તીવ્ર ઠંડીની દૈનિક જીવન પર અસર પડી રહી છે. ખાસ કરીને વહેલી સવારમાં કામ પર જનારા લોકો, વિદ્યાર્થીઓ અને ખેતી કામ સાથે જોડાયેલા ખેડૂતોએ ઠંડીનો વધુ અનુભવ કર્યો હતો. ઠંડા પવનો અને ધુમ્મસને કારણે સવારના કલાકોમાં સામાન્ય જનજીવન થોડું ધીમું પડ્યું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી દિવસોમાં પણ જિલ્લામાં ઠંડીની અસર યથાવત રહેવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 11:56 am

કુંભારવાડા મોતીતળાવ નજીક બે જૂથ વચ્ચે ઉગ્ર મારામારી:મોટર સાયકલ ધીમું ચલાવવાની ટકોરે ઝઘડો, બોરતળાવ પોલીસમાં બે પક્ષની સામસામે ફરિયાદ

ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ મથક વિસ્તારમાં વાહન ધીમે ચલાવવા બાબતે થયેલી બોલાચાલી બાદ ગંભીર મારામારીનો બનાવ સામે આવ્યો છે. ગતરાત્રીના કુંભારવાડા મોતીતળાવ કાદરી મસ્જિદ નજીક બનેલા બનાવમાં બન્ને પક્ષોએ એકબીજા સામે મારામારી કરી પથ્થર અને ઇંટોના ઘા માર્યાનો આરોપ છે, જેમાં મહિલાઓ સહિત અનેક લોકોને નાની-મોટી તથા કેટલીક ગંભીર ઇજાઓ પહોંચી છે. સમગ્ર ઘટનાને લઈને બોરતળાવ પોલીસે બન્ને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી છે. એક તરફ બાઇક સવાર ઝુબેર શેખ સહિત પાંચ ઈસમો સામે ફરિયાદ નોંધાઈ છે, તો બીજી તરફ શિવદંત શાહ સહિત અન્ય ઈસમો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ઘટનાના તમામ પાસાઓની તપાસ ચલાવી રહી છે. મોટર સાયકલ ધીમું ચલાવવા નું કહેતા મારામારીઆ બનાવ અંગે બોરતળાવ પોલિસ મથકેથી મળતી માહિતી મુજબ ફરીયાદી શિવદંત શાહ તથા રાજકુમાર બન્ને ફરીયાદી શિવદંત તેમના ઘરની બહાર બેઠા હતા અને કુતરાને બિસ્કીટ નાખતા હતા તે દરમ્યાન ઝુબેર મહેબુબભાઈ શેખ મોટર સાયકલ પુરઝડપે લઈને નિકળતા તેને મોટર સાયકલ ધીમું ચલાવવા નુ કહેતા ઝુબેર તથા અન્ય 4 ઈસમો દ્વારા ફરીયાદી શિવદંત શાહ તથા રાજકુમાર સાથે મારામારી કરવા લાગતા ફરીયાદીના પત્ની મંજુલાદેવી અને તેના સંબધી ગૌતમ શીવશંકર શાહની, અભિમાન્યુ શાહની, સત્યમ રાજકુમાર, અકીતયાદવ, ગોવિદ મલા, સંજુદેવી યાદવ વગેરે એ છુટા પથ્થર તથા ઇંટોના ઘા માર્યા હતાં. ફરીયાદી શિવદંત શાહ, અભિમાન્યુ ત્રીલોકનાથ, સત્યમ રાજકુમાર, અતિયાદવ, ગોવિદ મલા તથા સંજુદેવી યાદવ વગેરેને નાનામોટી ઇજા કરી તેમજ ફરીયાદીના પત્ની મંજુદેવીને તથા ગૌતમને ગંભીર ઇજા કરી હતી. સમગ્ર બનાવ અંગે બોરતળાવ પોલિસ મથકમાં બાઇક સવાર ઝુબેર શેખ, અનિશ ઉર્ફે સાહિલ પઠાણ, યાસીન શેખ, અખ્તર શેખ, હસન શેખ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ બનાવમાં સામસામા પક્ષ બોરતળાવ પોલિસે ફરિયાદ નોંધી છે. છુટા પથ્થર તથા ઇટોના ધા માર્યાજેમા સામા પક્ષે ફરીયાદી યાસીન શેખના બનેવીના બનેવી ઝુબેર મહેબુબભાઈ શેખ સાથે સામાવાળા શિવદંત શાહની તથા રાજકુમાર મોટર સાયકલ ફુલસ્પીડે ચલાવવા બાબતે બોલાચાલી કરતા ફરીયાદી યાસીન શેખ તથા તેનો ભાઈ અખ્તર તથા યાસીન ના બનેવી અનીસ ઉર્ફે સાહીલ તથા હસનભાઈ શેખ વગેરે જતા આ સામાવાળા શિવદંત શાહની તથા તેના સંબંધી રાજકુમાર શાહની, ગૌતમ શાહની, અભિમન્યું શાહની, ગોવિદ મલા તથા અજાણ્યા બેથી ત્રણ શખ્સોએ એક સંપે આવી ફરીયાદી તથા સાહેદ સાથે મારામારી સર્જી છુટા પથ્થર તથા ઇટોના ધા મારીને યાશીન,યાશીનના ભાઈને, યાસીન બનેવી, અનિશ ઉર્ફે સાહિલને તથા ઝુબેરને નાની મોટી ગંભીર ઇજા કરી. જે અંગે યાશીન શેખએ બોરતળાવ પોલિસ સ્ટેશનમાં શિવદંત શાહની, રાજકુમાર શાહની, ગૌતમ શાહની, અભિમન્યુ શાહની, ગોવિંદ મલા અને અન્ય બેથીત્રણ અજણાયા ઈસમો વિરુદ્ધ આ બનાવ અંગે પોલિસ ફરિયાદ નોંધાવી છે. બંને પક્ષની સામસામે ફરિયાદજોકે બોરતળાવ પોલિસે કુંભારવાડા મોતીતળાવ કાદરી મસ્જિદ નજીક થયેલ બન્ને પક્ષોની મારામારીમાં સામસામે ફરિયાદ નોંધી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 11:52 am

PM ના એક પેડ માં કે નામનો છેદ ઉડ્યો:રાજકોટની કોટડાસાંગાણીની સરકારી કોલેજના આચાર્યે 12 વર્ષ જૂના 27 વૃક્ષો કપાવ્યા, સસ્પેન્ડ કરવા પર્યાવરણ પ્રેમીની માંગ

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ એક પેડ માં કે નામનો નારો લગાવી રહ્યા છે ત્યારે રાજકોટની કોટડાસાંગાણી સરકારી વિનયન કોલેજના આચાર્ય દ્વારા 12 વર્ષ જૂના 27 વૃક્ષોનું નિકંદન કાઢી નાખતા પર્યાવરણ પ્રેમીએ દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી સહિતનાને રજૂઆત કરી આચાર્યને સસ્પેન્ડ કરી વન સંરક્ષણ ધારા મૂજબ દંડ અને સજા કરવામાં આવે તેવી માંગણી કરી છે. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના કમિશનર ઓફ હાયર એજ્યુકેશનને રાજકોટના પર્યાવરણપ્રેમી જતીન જાનીએ રજૂઆત કરતા જણાવ્યું છે કે,એક ચિંતિત નાગરિક તરીકે રાજ્યની એક સરકારી કોલેજમાં થયેલી ગંભીર પર્યાવરણવિરોધી તથા ગુનાહિત ઘટનાની આપને જાણ કરવા તથા તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની દ્રઢ માંગ સાથે આ ફરિયાદ રજૂ કરું છું. તેમણે જણાવ્યુ હતુ કે, રાજકોટના કોટડાસાંગાણીની સરકારી ઠાકોર મૂળવાજી વિનયન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અલ્પેશ જોશી દ્વારા કોલેજ પરિસરમાં આવેલા આશરે 12 વર્ષ જૂના 27 પૂર્ણ વિકસિત સપ્તપર્ણી (Alstonia scholaris) વૃક્ષો કોઈપણ પ્રકારની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી કે અન્ય સક્ષમ સત્તાધિકારીની પૂર્વ પરવાનગી વિના તેમજ કોઈ તાત્કાલિક, સલામતી સંબંધિત કે પ્રશાસનિક કારણ વિના કપાવવામાં આવ્યા છે. આ કૃત્ય માત્ર પ્રશાસનિક બેદરકારી નહીં પરંતુ જાહેર સંપત્તિ તથા પર્યાવરણને થયેલું ગંભીર ગુનાહિત નુકસાન છે. જે બાદ પર્યાવરણપ્રેમીઓ દ્વારા વિરોધ થતાં આચાર્ય દ્વારા માત્ર એક ઔપચારિક માફી લખવામાં આવી (માફી પત્ર બીડેલ છે જેમાં 20 વૃક્ષો કાપ્યાની માફી છે જે ખોટું છે. હકીકતમાં 27 વૃક્ષો કપાયા છે) અને ઘટનાની છુપાવવા તાત્કાલિક નવા વૃક્ષો વાવવામાં આવ્યા. જે બાદ સત્તાના જોરે સમગ્ર મામલો દબાવી દેવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ છે. તેઓ રજૂઆતમાં વધુમાં જણાવે છે કે, અલ્પેશ જોશીની પહોચ ખૂબ ઉપર સુધી છે અને એના પર રાજકોટના એક કુખ્યાત ધર્મગુરૂનો હાથ છે. જેથી તેની સામે કોઈ અવાજ ઉઠાવતા ડરે છે. તપાસમાં હાલ નોકરી કરતા અધ્યાપકોને પૂછતાછ કરશો તો એ અલ્પેશ જોષીના ડરને કારણે સાચું નહીં બોલે પરંતુ ત્યાંથી બદલી થયેલા અધ્યાપકોને પૂછવાથી કદાચ સાચું બહાર આવે. તેમણે જણાવ્યું કે, એક બાજુ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એક પેડ માં કે નામનો નારો આપે છે અને બીજી બાજુ સરકારી કોલેજના આચાર્ય 12 વર્ષ જૂના 27 વૃક્ષોનો નાશ કરે છે. જેથી ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ ગુનાહિત કૃત્ય બદલ કલમ 379 (ચોરી) – જાહેર સંપત્તિ સમાન વૃક્ષોની ગેરકાયદેસર કાપણી, કલમ 425 તથા 427 (મિશ્રીફ) – જાહેર અને પર્યાવરણને નુકસાન, કલમ 441 તથા 447 (ક્રિમિનલ ટ્રેસપાસ) – અધિકારની સીમા બહાર જઈ કરાયેલ કાર્યવાહી, કલમ 409 (જાહેર સેવક દ્વારા વિશ્વાસભંગ) – સત્તાનો દુરુપયોગ, કલમ 166 (કાયદાનું ઉલ્લંઘન કરતો જાહેર સેવક)આ પ્રકારની કાપણી અપરાધ છે. જેને માત્ર માફી અથવા આંતરિક સમાધાન દ્વારા બંધ કરી શકાય નહીં. અંતમાં પર્યાવરણ પ્રેમીએ દ્રઢ અને સ્પષ્ટ માંગ કરી હતી કે, પ્રિન્સિપાલ વિરુદ્ધ IPC હેઠળ કોજદારી કેસ નોંધવામાં આવે, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, વન વિભાગ દ્વારા સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે (બીજી કોલેજના આચાર્ય દ્વારા નહી), પર્યાવરણ વળતર (Environmental Compensation) વસૂલવામાં આવે અને કાયદા મુજબ કારાવાસ તથા દંડ સહિતની કડક સજા ફટકારવામાં આવે. તેઓ જણાવે છે કે, કપાયેલા વૃક્ષોનો વિડિયો પણ મારી પાસે ઉપલબ્ધ છે. જો આવા કિસ્સાઓમાં નરમ વલણ અપનાવવામાં આવશે તો તે સંદેશ આપશે કે શૈક્ષણિક અને પ્રશાસનિક સત્તા ધરાવનાર વ્યક્તિઓ પર્યાવરણ કાયદા કરતાં ઉપર છે. જે કાયદા પાલન માટે અત્યંત ખતરનાક છે. શૈક્ષણિક સંસ્થાઓનો હેતુ મૂલ્યો, નૈતિકતા અને જાહેર સંસાધનોનું સંરક્ષણ કરવાનો છે – તેમનો વિનાશ કરવાનો નહીં. પર્યાવરણ પ્રેમીએ પોતાની રજૂઆત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી, મુખ્ય વન સંરક્ષક તેમજ શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને મોકલી આપી છે. આ અંગે કોલેજના આચાર્ય ડૉ.અલ્પેશ જોશીનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યુ હતુ કે, તમે રૂબરૂ આવો પછી આ અંગે વાત કરી. જોકે તેમણે વૃક્ષોના નિકંદન અંગે ફોન પર કારણ આપવાનું ટાળ્યુ હતુ.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 11:49 am

રાપરના ખીરઈ નજીક પાબુદાદા મંદિરમાં તોડફોડ:અસામાજિક તત્વો દ્વારા મૂર્તિઓ ખંડિત કરાતા પોલીસ તપાસ શરૂ

રાપર તાલુકાના ખીરઈ ગામ નજીક આવેલા પાબુદાદાના મંદિરમાં અસામાજિક તત્વો દ્વારા મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અસામાજિક તત્વોએ મંદિરમાં પાબુદાદાની અનેક મૂર્તિઓને ખંડિત કરી હતી. આ કૃત્ય પાછળ કોમી એકતા તોડવાનો ઇરાદો હોવાનું મનાય છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામોના આગેવાનો, ધર્મપ્રેમીઓ અને રાપર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી. બુબડીયા તાત્કાલિક મંદિરે પહોંચ્યા હતા. તેમની સાથે તાલુકા પંચાયતના માજી પ્રમુખ હમીરજી સોઢા, ગૌ સેવક જગુભા જાડેજા અને લાલુભા જાડેજા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. પીઆઈ જે.બી. બુબડીયાએ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. આ મામલે ફરિયાદ નોંધાવવાની તજવીજ ચાલી રહી છે. આ બનાવને પગલે આસપાસના વિસ્તારમાં લોકોમાં ભારે રોષ અને ઉશ્કેરાટ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 11:35 am

હરખજીના મુવાડા ગામ પાસેથી પીકઅપ ડાલામાંથી 15 લાખનો દારૂ ઝડપાયો:દહેગામ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને અલીગઢના બુટલેગરને દબોચ્યો

દહેગામ પોલીસ સ્ટેશનની ટીમે મધરાતે હાઈવે પર એક ઓપરેશન પાર પાડીને વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ઉત્તર પ્રદેશના એક બુટલેગરને ઝડપી પાડ્યો છે. પોલીસને જોઈને પીકઅપ ડાલાના ચાલકે વાહન ભગાવ્યું હતું, જેનો પોલીસે પીછો કરી મહાવીર ફાર્મ પાસે બુટલેગરને ઝડપી પાડતા તેની પાસેથી 15 લાખની કિંમતનો હરિયાણાનો દારૂ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોધી દારૂ સહિત 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દહેગામથી કપડવંજ જતા દારૂનું પીકઅપ ડાલું ઝડપાયું દહેગામ પોલીસે બાતમીના આધારે હાઈવે પર વોચ ગોઠવીને વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ પસાર થતી પીકઅપ ગાડીને ઝડપી પાડી છે. પોલીસને જોઈને બુટલેગરે વાહન ભગાવતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી તેને આંતરી લીધો હતો. દહેગામ પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.એન. દેસાઈને બાતમી મળી હતી કે, એક સફેદ કલરની બંધ બોડીની મારુતિ સુપર કેરી પીકઅપ (નંબર GJ-18.BV.3347) વિદેશી દારૂ ભરીને દહેગામથી કપડવંજ રોડ તરફ જવાની છે. હરખજીના મુવાડા ગામ પાસેના ફાર્મ પાસેથી પકડ્યોઆ બાતમીના આધારે પોલીસની અલગ-અલગ ટીમોએ હરસોલી ચોકડી વોચ ગોઠવી હતી. ત્યારે બાતમી મુજબનું વાહન આવતા પોલીસે તેને ઉભા રહેવા ઈશારો કર્યો હતો, પરંતુ ચાલકે વાહન ઉભું રાખવાને બદલે હાઈવે પર પૂરઝડપે હંકારી મૂક્યું હતું. આથી પોલીસે ખાનગી વાહનોમાં તેનો પીછો કર્યો અને હરખજીના મુવાડા ગામ પાસે મહાવીર ફાર્મ સામે આડશ ઉભી કરી ગાડીને રોકી દીધી હતી. અલીગઢનો બુટલેગર ઝડપાયોજોકે ગાડી ઉભી રહેતા જ ચાલકે ઉતરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે કોર્ડન કરી તેને પકડી પાડ્યો હતો. જેને ભાગવા જતાં જમણા પગે સામાન્ય ઈજા પણ પહોંચી હતી. બાદમાં પકડાયેલા શખ્સનું નામ પૂછતા તેણે પોતાનું નામ દિગંબર સિંહ ઉર્ફે ભુરો જહાનસિંહ જાટ (રહે. અલીગઢ, ઉત્તરપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. 3744 નંગ નાની મોટી દારૂની બોટલો જપ્ત કરીત્યારે રાત્રિનો સમય અને હાઈવે પર ટ્રાફિક હોવાથી પોલીસ ગાડીને દહેગામ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં ગણતરી કરતા 15 લાખની કિંમતની કુલ 3 હજાર 744 નંગ નાની મોટી દારૂની બોટલો મળી આવી હતી. આ અંગે પોલીસે દારૂનો જથ્થો સહિત કુલ રૂ.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર વિરુધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 11:34 am

હિંમતનગરમાં વન ચેતના કેન્દ્ર પાસે દીપડો દેખાયો:છેલ્લા ચાર દિવસથી અલગ-અલગ સ્થળે દેખાતા વન વિભાગ સક્રિય

હિંમતનગરના ધાંણધા વિસ્તારમાં આવેલા વન ચેતના કેન્દ્ર આસપાસ દીપડો દેખાયો છે. છેલ્લા ચાર દિવસથી આ વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળી રહી છે, જેને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. વન વિભાગને જાણ થતાં દીપડાને પાંજરે પૂરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હિંમતનગરથી ઇડર સ્ટેટ હાઇવે પર આવેલા ધાંણધામાં વન ચેતના કેન્દ્ર આવેલું છે. આ કેન્દ્રની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી અલગ-અલગ સ્થળોએ દીપડો દેખાઈ રહ્યો છે. ગત સાંજે મોન્ટેઝ લેબોરેટરી પાછળના ભાગે દીપડો જોવા મળ્યો હતો, જેનો વીડિયો પણ વાયરલ થયો છે. દીપડાના સતત દેખાવાથી સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વન વિભાગે આ અંગે ગંભીરતા દાખવી દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 11:31 am

CMને ભ્રષ્ટાચારની ફરિયાદ કરતા ખેડૂતને સળગાવી દીધો:આંકલાવના અંબાવ ગામના સરપંચના પુત્ર સહિત પાંચ લોકો સામે આક્ષેપ

સયાજી હોસ્પિટલમાં દાખલ ભરતભાઈ પઢિયારે જણાવ્યું હતું કે, અમારા ગામમાં પંચાયતમાં ભ્રષ્ટાચાર થયેલો, એટલે મેં આઠ-દસ દિવસ પહેલા જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર અને મુખ્યમંત્રીને અરજી કરી હતી. આટલી બધી જગ્યાએ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ન્યાય ન મળ્યો, તેથી અમે મીડિયામાં આ અંગેનું નિવેદન આપ્યું હતું. જે દિવસે નિવેદન આપ્યું, તે જ દિવસે સરપંચના પતિ તરફથી મને ધમકી આપવામાં આવી. બીજા દિવસે પણ અન્ય લોકો દ્વારા ધમકીઓ અને સંદેશા મોકલાવવામાં આવ્યા કે 'તમને જીવતા નહીં છોડીએ', તેના પછીના દિવસે મારે ઘરે ભજનનો કાર્યક્રમ હતો, એટલે હું દળણું દળાવવા માટે ગયો હતો. ત્યાં અચાનક સરપંચ કોકિલાબેન, તેમના પતિ દિનેશભાઈ, પુત્ર નિલેશભાઈ, રાજેશભાઈ અને તેમનો એક ભત્રીજો ઈકો ગાડી લઈને આવ્યા હતા. તેમણે મને ગડદાપાટુનો માર માર્યો. માર મારતા મારતા તેઓ મને ગામની વચ્ચે લઈ ગયા. ત્યાં કોકિલાબેને મને પકડી રાખ્યો, નિલેશભાઈએ મારા પર પેટ્રોલ છાંટ્યું અને રાજેશભાઈએ દિવાસળી ચાંપી દીધી હતી. દિનેશભાઈએ મને લાત મારીને પાડી દીધો અને પછી મને આગ લગાડીને તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. શું છે સમગ્ર ઘટના?આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામના મહિલા સરપંચ તેમજ તેમના પરિવારે મુખ્યમંત્રીને ભ્રષ્ટાચારની ફરિયાદ કરનારા શખસને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. હાલ ખેડૂતને વડોદરા ની સયાજી હોસ્પિટલમાં સારા માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક છે. આંકલાવ તાલુકાના અંબાવના અમરાદેવ મંદિર પાછળ 51 વર્ષીય ભરતભાઈ ફૂલસિંહ પઢીયાર રહે છે. તેઓએ અગાઉ ગામમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અંગેની જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, વિકાસ કમિશ્નર અને મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી. આ બાબતને લઈને તેમને ગામના મહિલા સરપંચ કોકિલા દિનેશ પઢીયાર સાથે ચડભડ ચાલતી હતી. આ દરમિયાન, ગત 4 જાન્યુઆરીના રોજ તેમના ઘરે ભજનનો કાર્યક્રમ હોય તેઓ ગામના એક વિસ્તારમાં કેટલીક બહેનોને જમવાના વાસણ ધોવાના હોય તે કહેવા માટે ગયા હતા. એ સમયે કાર લઈને મહિલા સરપંચ કોકિલા, ઉપરાંત તેમનો પતિ દિનેશ ચંદુ પઢીયાર, પુત્ર નિલેશ દિનેશ પઢીયાર, રાજેશ ઉર્ફે પોપટ દિનેશ પઢીયાર અને સરપંચનો ભત્રીજો અને અશોકભાઈનો ભત્રીજો સ્થળે આવી પહોંચ્યા હતા. તેમણે કારમાં ઉતર્યા બાદ ગમે તેમ અપશબ્દ બોલી, જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી અને અમારા વિરૂદ્ધ ભ્રષ્ટાચારની અરજીઓ કેમ કરે છે તેમ કહીને બોલાચાલી કરી હતી. જોકે, એ સમયે ભરતભાઈએ ભ્રષ્ટાચાર કર્યો છે એમાં શું નવાઈની વાત છે? તેમ કહેતાં જ તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. ઉશ્કેરાયેલા પાંચેય જણાં ભેગા થઈને તેની સાથે ઝપાઝપી કરી મારામારી કરવા લાગ્યા હતા. એ પછી સરપંચનો મોટો દીકરો નિલેશ ગાડીમાંથી ગેલેન ભરેલું પેટ્રોલ કાઢી લાવ્યો હતો અને શખસ પર છાંટટ્યું હતું અને દીવાસળીની કાંડી ચાંપી હતી. જેને પગલે શખસ સળગવા લાગ્યો હતો. જોકે, એ સમયે આસપાસના લોકો અને શખસના પુત્રો આવી પહોંચતા જ તેમને બચાવી લીધા હતા. આ દરમિયાન, શખસોએ અમારા કામમાં ખોટી દખલગીરી કરવી નહીં, નહીં તો પિક્ચર પૂરું કરી દઈશું તેમ ધમકીઓ આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. દાઝેલી હાલતમાં ભરતભાઈને આંકલાવની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ભરતભાઈની સ્થિતિ હાલ નાજુક છે. આ મામલે આંકલાવ પોલીસે સરપંચ સહિત કુલ પાંચ વિરૂદ્ધ મારામારી, હત્યાના પ્રયાસની ક્લમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આરોપીના નામ

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 11:21 am

જામનગરમાં લેઉવા પટેલ સમાજનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ:52,000 જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં સંગઠન શક્તિના દર્શન, સમાજના અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા

જામનગરના રણજીતનગર સ્થિત પટેલ સમાજ ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિની એકતા, સંસ્કૃતિ અને ગૌરવના પ્રતીક સમા આ 'ત્રિવેણી સંગમ' કાર્યક્રમમાં અંદાજે 52,000થી વધુ જ્ઞાતિજનો ઉમટી પડ્યા હતા, જેણે લેઉવા પટેલ સમાજની અતૂટ સંગઠન શક્તિનો પરિચય કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં મહારાસ, સામાજિક સન્માન અને સમૂહ ભોજનનો સમાવેશ થતો હતો. સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડિયાએ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત તારીખ 03-01-2026ના રોજ ભવ્ય મહારાસનું આયોજન કરાયું હતું. જેમાં સમગ્ર જિલ્લામાંથી હજારોની સંખ્યામાં ભાઈઓ-બહેનોએ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રાત્રિનું મુખ્ય આકર્ષણ જામનગરની વિશ્વ વિખ્યાત 'પટેલ યુવક ગરબી મંડળ' દ્વારા રજૂ કરવામાં આવેલો અદભૂત મસાલ રાસ રહ્યો હતો. તારીખ 04-01-2026ના રોજ યોજાયેલા મુખ્ય સમારોહમાં રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ધારાસભ્ય રમેશભાઈ ટીલારા, દિવ્યેશભાઈ અકબરી સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. લેઉવા પટેલ સમાજ દ્વારા આ નવનિયુક્ત મંત્રીઓનું જામનગરની ધરતી પર ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ અને રમેશભાઈ મુંગરા સહિતના સમાજના અને રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, અન્ન ભેગા એના મન ભેગાના ભાવ સાથે પાટીદાર સમાજ આજે અન્ય સમાજોને પણ સાથે રાખીને દેશને વિકાસની નવી રાહ ચીંધી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ સંગઠિત શક્તિ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નવા આયામો સર કરશે. સમાજની ઉન્નતિ માટે ઉદાર હાથે ફાળો આપનાર દાતાઓનું પણ આ તકે મહાનુભવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. આ માતબર ફાળો આગામી સમયમાં સમાજ ભવનો અને અન્ય સામાજિક સુવિધાઓના નિર્માણ માટે ઉપયોગમાં લેવામાં આવશે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત 52,000 જેટલા જ્ઞાતિજનો માટે સમૂહ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે લેઉવા પટેલ સમાજ જામનગરના પ્રમુખ મનસુખભાઈ રાબડિયા, હોદ્દેદારો અને સેંકડો સ્વયંસેવકોએ રાત-દિવસ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, ચેમ્બર્સ ઓફ કોમર્સના રમણીકભાઈ અકબરી જીઆઇડીસી ફ્રેસ-2 ના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, ફેક્ટરી ઓનર્સ પ્રમુખ રામજીભાઈ ગઢીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.વિનુભાઈ ભંડેરી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયા, મંત્રી અશોકભાઈ ચોવટીયા ઉપપ્રમુખ કૈલાશભાઈ રામોલિયા, મનસુખભાઈ ભંડેરી, સહમંત્રી રમેશભાઈ વેકરીયા અને ખજાનચી કિશોરભાઈ સંઘાણી, સહિત સમાજની કારોબારી સભ્યો તેમ જ સામાજિક રાજકીય સહિતના હજારોની સંખ્યામાં લેઉવા પટેલ સમાજના જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 11:20 am

થાનગઢમાં ગેરકાયદેસર કોલસાના કૂવા બુરાણ શરૂ:નાયબ કલેક્ટર અને મામલતદારની ટીમે કાર્યવાહી કરી

થાનગઢ તાલુકાના વેલાળા ગામમાં ગેરકાયદેસર કોલસાના કૂવાનું બુરાણ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢના મામલતદારની સંયુક્ત ટીમે આ કામગીરી હાથ ધરી છે. આ કાર્યવાહી ચોટીલા સબ ડિવિઝન હેઠળના વેલાળા ગામમાં આવેલા તમામ ગેરકાયદેસર કોલસાના કૂવાઓ પર કરવામાં આવી રહી છે. બુરાણ માટે લોડર મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગેરકાયદેસર કોલસાના કૂવાઓનું બુરાણ કરવાની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 11:16 am

ભરૂચના ગામોના વિકાસ માટે રૂ.32.45 કરોડ મંજૂર:GIDC સમિતિએ 6 નિર્દિષ્ટ વિસ્તારોના કામોને આપી મંજૂરી

ભરૂચ જિલ્લાના નિર્દિષ્ટ વિસ્તારોમાં ગ્રામીણ વિકાસ માટે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC)ની સર્વગ્રાહી વિકાસ સમિતિ દ્વારા રૂ. 32.45 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં લેવાયો હતો. આ ભંડોળ અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, ભરૂચ, પાલેજ અને વાલિયા સહિતના 6 નિર્દિષ્ટ ઔદ્યોગિક વિસ્તારોની હદમાં આવતા ગામોના સર્વાંગી વિકાસ માટે ફાળવવામાં આવ્યું છે. તેનો ઉપયોગ રોડ-રસ્તા, પીવાનું પાણી, વીજળી, આરોગ્ય, ગટર વ્યવસ્થા અને શૈક્ષણિક સુવિધાઓ જેવી પાયાની માળખાગત સુવિધાઓને મજબૂત કરવા માટે થશે. જિલ્લા કલેક્ટરે તમામ વિકાસ કાર્યો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને અધિકારીઓને સમયાંતરે ફિલ્ડ વિઝીટ કરીને કામગીરીની ચકાસણી કરવા સૂચના આપી હતી. આ કાર્યો જનહિતમાં ઝડપથી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાએ આ મંજૂર થયેલા વિકાસ કાર્યોને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણયથી ગ્રામીણ અને ઔદ્યોગિક વિસ્તારો વચ્ચેનું અંતર ઘટશે અને સ્થાનિક નાગરિકોના જીવનધોરણમાં સુધારો થશે. ઉલ્લેખનીય છે કે GIDC દ્વારા ઉઘરાવવામાં આવતા સંકલિત વેરાના 33 ટકા હિસ્સાનો ઉપયોગ નિર્દિષ્ટ વિસ્તારોની હદમાં આવેલા ગામોના વિકાસ માટે કરવામાં આવે છે. આ બેઠકમાં GIDCના અધિકારીઓ અને સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા. મંજૂર થયેલા ખર્ચની વિગત નીચે મુજબ છે: ભરૂચ – રૂ. 2.11 કરોડ, અંકલેશ્વર – રૂ. 9.90 કરોડ, પાનોલી – રૂ. 10.46 કરોડ, ઝઘડિયા – રૂ. 8.69 કરોડ, પાલેજ – રૂ. 0.89 કરોડ, વાલિયા – રૂ. 0.40 કરોડ..

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 11:14 am

ખંપાળીયામાં ગેરકાયદેસર કોલસા ખનન, 7 ટ્રાન્સફોર્મર જપ્ત:ચોટીલા નાયબ કલેક્ટર અને ટીમે સરકારી જમીન પર દરોડા પાડી કાર્યવાહી કરી

ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા, મુળી મામલતદાર અને પી.જી.વી.સી.એલ. મુળીની સંયુક્ત ટીમે ખંપાળીયા ગામના સરકારી સર્વે નંબર 50 અને 161 વાળી જમીનની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ સ્થળેથી ગેરકાયદેસર કોલસા ખનન પ્રવૃત્તિમાં વપરાતા 7 ટ્રાન્સફોર્મર (ટી.સી.) ઉતારી જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ગેરકાયદેસર કોલસા ખનન સામે કરવામાં આવી છે. છ મહિના પહેલા પણ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાએ તેમની ટીમ સાથે આ જ સરકારી જમીન પર આકસ્મિક દરોડા પાડ્યા હતા. તે સમયે નીચે મુજબના વ્યક્તિઓ દ્વારા ગેરકાયદેસર કોલસાનું ખનન કરવામાં આવતું હોવાનું જણાયું હતું: (1) ખોડાભાઇ લીંબાભાઇ રબારી(2) આલાભાઇ લીંબાભાઇ રબારી(3) પ્રભુભાઇ ઘુસાભાઇ કોળી(4) જેમાભાઇ હરજીભાઇ બાવળીયા(5) પેમાભાઇ હરજીભાઇ બાવળીયા(6) ખીમાભાઇ મેરુભાઇ રબારી(7) મેરુભાઇ રામાભાઇ રબારી(8) ગોવિંદભાઇ લાખાભાઇ રબારી(9) રાજાભાઇ લાખાભાઇ રબારી(10) મંગાભાઇ કાનાભાઇ બાવળીયા(11) ભીમાભાઇ ભરવાડ ઉપરોક્ત ઇસમો દ્વારા સરકારી જમીનમાં ગેરકાયદેસર કોલસાનું ખનન કરીને સરકારી મિલકતને મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. વર્તમાન મુલાકાત દરમિયાન, સ્થળ પર કેટલું ખનન થયું છે અને કેટલું ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે તેની પણ ચકાસણી કરવામાં આવી હતી. તમામ સંડોવાયેલા ઇસમો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 11:08 am

ગોધરા સાંદિપની નર્સિંગ કોલેજમાં લેમ્પલાઇટિંગ અને ઓથ સેરેમની યોજાઈ:નવા વિદ્યાર્થીઓએ માનવસેવાનો સંકલ્પ લીધો; મહાનુભાવોએ પ્રેરણા આપી

ગોધરા સ્થિત સાંદિપની નર્સિંગ કોલેજ ખાતે નર્સિંગના નવા વિદ્યાર્થીઓ માટે લેમ્પલાઇટિંગ અને ઓથ સેરેમની કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પંચમહાલ રેન્જના આઇજી આર.વી. અસારી, પોલીસ અધિક્ષક ડો. હરેશભાઈ દુધાત, યુનિવર્સિટીના કુલપતિ ડો. હરિભાઈ કાતરીયા, નર્સિંગ કોલેજના ટ્રસ્ટી દિલીપભાઈ પટેલ અને મહેશભાઈ પ્રજાપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રજ્વલન સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નર્સિંગના નવા વિદ્યાર્થીઓને માનવસેવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાએ હાજરી આપી હતી. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત પંચમહાલ રેન્જના આઇજી આર.વી. અસારીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, નર્સિંગ ક્ષેત્ર માનવસેવાનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. દર્દીના જીવનમાં નર્સ માત્ર સારવાર આપનાર નહીં, પરંતુ હિંમત, આશા અને સંવેદનાની પ્રતિમૂર્તિ હોય છે. તેમણે વિદ્યાર્થીઓને સેવા ભાવ, શિસ્ત અને સમર્પણ સાથે સમાજ પ્રત્યે જવાબદારીપૂર્વક કાર્ય કરવા પ્રોત્સાહિત કર્યા હતા. યુનિવર્સિટીના કુલપતિ ડો. હરિભાઈ કાતરીયાએ જણાવ્યું હતું કે, નર્સિંગ પ્રોફેશન માત્ર એક કારકિર્દી નહીં, પરંતુ માનવ કલ્યાણ માટેનું પવિત્ર કાર્ય છે. આજના સમયમાં આરોગ્યક્ષેત્રમાં કુશળ અને સંવેદનશીલ નર્સોની ખૂબ જરૂર છે. તેમણે વિદ્યાર્થીઓને આધુનિક જ્ઞાન સાથે માનવીય મૂલ્યો અને શિસ્ત અપનાવવા પર ભાર મૂક્યો હતો. નર્સિંગ કોલેજના ટ્રસ્ટી દિલીપભાઈ પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, કોલેજ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુવિધાઓ પૂરી પાડીને વિદ્યાર્થીઓને સક્ષમ આરોગ્યકર્મી બનાવવા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. મહેશભાઈ પ્રજાપતિએ નર્સિંગ ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ દ્વારા શપથવિધિ લેવામાં આવી હતી અને ઉપસ્થિત મહેમાનોનું કોલેજ પરિવાર તરફથી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 10:33 am

પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે બેઠક:અમદાવાદમાં પ્રજાના પ્રશ્નો-સમસ્યા અંગે ધારાસભ્યો અને કોર્પોરેટરોની રજૂઆત

અમદાવાદના પ્રભારી અને રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આજે 5 જાન્યુઆરીના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે બેઠક મળી છે. શહેરના વિવિધ પ્રશ્નોને લઈને ઝોન મુજબ ધારાસભ્યો, કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે બેઠક શરૂ થઈ છે. બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, તમામ મહામંત્રીઓ, મેયર, ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શાસક પક્ષના નેતા સહિત કોર્પોરેશનના પદાધિકારીઓ પણ ઉપસ્થિત છે. સવારે 9:00 વાગ્યે શરૂ થયેલી બેઠક બપોરના 2:00 વાગ્યા સુધી ચાલશે. પ્રથમ ઉત્તર ઝોનના MLA, સાંસદો અને કોર્પોરેટરો સાથે બેઠકસૌ પ્રથમ શહેરના પૂર્વ વિસ્તારમાં આવતા ઉત્તર ઝોનના ધારાસભ્યો, સાંસદ સભ્યો અને કોર્પોરેટરો સાથે બેઠક શરૂ થઈ છે. અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ હસમુખ પટેલ અને પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણા હાજર છે. ભાજપના નરોડાના ધારાસભ્ય ડો. પાયલ કુકરાણી, બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહ અને ઠક્કરબાપાનગરના ધારાસભ્ય કંચન રાદડિયા બેઠકમાં હાજર છે. ઉત્તર ઝોનના નરોડા, સૈજપુર, ઠક્કરબાપાનગર, બાપુનગર, સરસપુર- રખિયાલ, કુબેરનગર અને સરદારનગર વોર્ડના કોર્પોરેટર હાજર છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 10:32 am

સિંહણના રેસ્ક્યુ સમયે ટ્રેકર ઘાયલ, સારવાર દરમિયાન ટ્રેકરનું મોત:ગઈકાલે સિંહણને બેભાન કરવા ગનથી કરાયેલા ફાયરીંગમાં વનકર્મી ઘાયલ થયો હતો

જૂનાગઢના વિસાવદર તાલુકામાં વન વિભાગના એક ટ્રેકરનું સિંહણના રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. વિસાવદરના નાની મોણપરી ગામમાં જ્યારે વન વિભાગની ટીમ દ્વારા સિંહણને પકડવા માટે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી, ત્યારે અકસ્માતે સિંહણને બેભાન કરવા માટે વપરાતી ટ્રેન્ક્યુલાઈઝર ગનથી કરાયેલા ફાયરીંગમાં વનકર્મી ઘાયલ થયો હતો. સિંહણને બેભાન કરવાના ઈરાદે કરાયેલ ફાયરિંગથી સીધો ટ્રેકરને વાગી જતાં તેમની હાલત ગંભીર બની હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા અશરફ ચૌહાણ નામના ટ્રેકરને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. વન્યજીવોના રક્ષણ માટે સતત કાર્યરત રહેતા યુવાન ટ્રેકરના આ પ્રકારે થયેલા અચાનક અવસાનથી તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ઘટનાએ વન વિભાગની રેસ્ક્યુ કામગીરી દરમિયાન રહેલા જોખમો અને સુરક્ષાના પાસાઓ પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે.અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ.....

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 10:23 am

સંતરોડને તાલુકાનો દરજ્જો આપવા માગ:મોરવા હડફ તાલુકાના આગેવાનો, વેપારીઓ અને ખેડૂતોએ રજૂઆત કરી

મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામને નવો તાલુકાનો દરજ્જો આપવા માટે સ્થાનિક આગેવાનો, વેપારીઓ અને ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. આસપાસના ગામોના પ્રતિનિધિઓએ પણ આ માંગને ટેકો આપ્યો છે. આગેવાનોના જણાવ્યા અનુસાર, સંતરોડ ગામ ભૌગોલિક રીતે આજુબાજુના ગામો માટે કેન્દ્રસ્થાન છે. જો તેને તાલુકા મથક બનાવવામાં આવે તો આસપાસના ગ્રામજનોનો અવર-જવરનો સમય અને ખર્ચ બચશે, તેમજ સરકારી કામકાજ વધુ ઝડપથી પૂર્ણ થઈ શકશે. સંતરોડ ગામમાં રેલવે સ્ટેશન સહિતની તમામ આવશ્યક સુવિધાઓ પહેલેથી જ ઉપલબ્ધ છે. ગ્રામજનોએ સરકારને વિનંતી કરી છે કે સંતરોડને તાલુકા મથક બનાવવા અંગે વિચારણા કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે, જેથી સમગ્ર વિસ્તારનો વિકાસ થાય.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 10:00 am

પંચમહાલના શહેરામાં ખાણ ખનીજ વિભાગના દરોડા:ગેંગડીયા ગામેથી ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગેંગડીયા ગામે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડી ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં ₹30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી પંચમહાલ જિલ્લામાં નદીઓ અને સરકારી જમીનો પર બિન-અધિકૃત ખનન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈને ખાણ ખનીજ વિભાગે સઘન તપાસ શરૂ કરી હતી. વિભાગને શહેરા તાલુકાના ગેંગડીયા ગામે પરવાનગી વગર ખનીજનું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે અધિકારીઓની ટીમે સ્થળ પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મોટાપાયે બિન-અધિકૃત ખનન થતું હોવાનું માલૂમ પડ્યું હતું. ખાણ ખનીજ વિભાગે સ્થળ પરથી એક જેસીબી મશીન અને એક ટ્રક સહિત અંદાજે ₹30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. વિભાગે જપ્ત કરાયેલા તમામ વાહનોને સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખનીજ ચોરી કરનારા તત્વો સામે માત્ર વાહનો જપ્ત કરવા પૂરતું સીમિત ન રહેતા, તેમની સામે મોટો દંડ વસૂલવાની અને કડક કાયદાકીય પગલાં ભરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 9:56 am

પંચમહાલમાં ગેરકાયદે ખનીજ વહન, ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત:શહેરાના ગેંગડીયામાંથી ટ્રક-જેસીબી સાથે ક્વાર્ટઝ ઝડપાયું

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગેંગડીયા ગામમાંથી ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદેસર ખનીજ ક્વાર્ટઝનું વહન કરતા એક ટ્રક અને જેસીબી મશીન ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં આશરે ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખાણ ખનીજ વિભાગની ટીમને ખાનગી બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે કેટલાક ખનીજ માફિયાઓ જેસીબી મશીન દ્વારા ગેરકાયદેસર રીતે ક્વાર્ટઝનું ખનન કરી ટ્રકમાં ભરીને વહન કરી રહ્યા છે. આ બાતમીના આધારે ટીમે ગેંગડીયા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ચેકિંગ દરમિયાન, ગેરકાયદેસર ખનીજ ક્વાર્ટઝનું વહન કરતા એક ટ્રક અને ખનન કરતા એક જેસીબી મશીનને અટકાવવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલા મુદ્દામાલને ગોધરા કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને રાખવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં કુદરતી ખનીજ સંપત્તિનો ભંડાર આવેલો છે, ત્યારે કેટલાક ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન અને વહન કરવામાં આવે છે. ખાણ ખનીજ વિભાગની ટીમ આવા માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે અને અસરકારક કામગીરી કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 9:55 am

પોલીસની ફોજ સાથે પાટણ પાલિકાની ટીમ ઉતરી:40થી વધુ ગેરકાયદેસર કતલખાનાઓ સીલ કરવાની કાર્યવાહી શરૂ, ઘરોમાંથી માસ-મટન જપ્ત

પાટણ શહેરમાં ગેરકાયદેસર રીતે ધમધમતા સ્લોટિંગ યુનિટો (કતલખાના) સામે પાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. આજે વહેલી સવારથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે પાલિકાની ટીમે 40થી વધુ ગેરકાયદેસર કતલખાનાઓ સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ દરમિયાન ઘરોમાંથી માસ-મટનનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 9:51 am

સુપ્રીમ કોર્ટના શ્વાનોને દૂર કરવાના નિર્ણય સામે વિરોધ:ધર્મ, સંસ્કૃતિ અને માનવતાના આધારે ફરી વિચારણાની માગ

સુપ્રીમ કોર્ટ દ્વારા રસ્તા પરના શ્વાનોને દૂર કરવાના નિર્ણય સામે દેશભરના જીવદયાપ્રેમીઓમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ નિર્ણયના વિરોધમાં પોરબંદરની ચોપાટી ખાતે ભારતીય દેશી શ્વાનોને બચાવવા માટે શાંતિપૂર્ણ અભિયાન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં જીવદયાપ્રેમીઓ, પ્રાણીપ્રેમી સંસ્થાઓ, યુવાનો અને નાગરિકો જોડાયા હતા. આ વિરોધ કોઈ વ્યક્તિ કે સંસ્થા વિરુદ્ધ નહોતો, પરંતુ ધર્મ, સંસ્કૃતિ અને માનવતાના આધારે નિર્ણય પર ફરી વિચારણા કરવાની માંગ સાથે યોજાયો હતો. ઉપસ્થિત જીવદયાપ્રેમીઓએ જણાવ્યું કે તેઓ ન્યાયપાલિકાનું સંપૂર્ણ સન્માન કરે છે, પરંતુ ન્યાય માત્ર કાયદાકીય જોગવાઈઓ પૂરતો સીમિત ન રહેતા તેમાં કરુણા, સંવેદનશીલતા અને સહઅસ્તિત્વની ભાવના પણ આવશ્યક છે. ભારતીય સંસ્કૃતિમાં 'વસુધૈવ કુટુંબકમ્'નો ભાવ પ્રાચીન કાળથી રહેલો છે. હિંદુ ધર્મમાં ભગવાન ભૈરવ સાથે શ્વાનનું વિશેષ સ્થાન છે. જૈન અને બૌદ્ધ ધર્મમાં અહિંસા પરમો ધર્મ મનાય છે, જ્યારે શીખ અને ઇસ્લામ ધર્મમાં પણ તમામ જીવો પ્રત્યે કરુણા અને જવાબદારીનો ઉપદેશ અપાયો છે. આવા સંસ્કારી દેશ માટે નિર્દોષ અને અવાજ વિનાના પ્રાણીઓ પ્રત્યે કઠોર વલણ યોગ્ય નથી, તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી. વિરોધ દરમિયાન વક્તાઓએ જણાવ્યું કે રસ્તા પર રહેતા શ્વાનો ગુનેગાર નથી. તેઓ બિનયોજિત શહેરીકરણ અને માનવીય બેદરકારીનું પરિણામ છે. તેમને દૂર કરવા એ ઉકેલ નથી, પરંતુ જન્મ નિયંત્રણ, રસીકરણ, સંભાળ, દત્તક પ્રક્રિયા અને જનજાગૃતિ જેવા માનવીય અને વૈજ્ઞાનિક ઉકેલો જ સ્થાયી માર્ગ છે. કાર્યક્રમ દરમિયાન ONE DAY | ONE VOICE | ONE CAUSE અને DO OR DIE – કરો કે મરો જેવા સંદેશાઓ દ્વારા સહઅસ્તિત્વ અને દયાનો સંદેશ અપાયો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે યોજાયો હતો. અંતમાં, જીવદયાપ્રેમીઓએ સરકાર અને ન્યાયપાલિકાને અપીલ કરી કે આ નિર્ણય પર ફરી વિચારણા કરી ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક મૂલ્યો અને માનવતાને ધ્યાનમાં રાખીને પ્રાણીઓના હિતમાં નીતિ ઘડવામાં આવે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 9:50 am

જાહેરમાં બેલ્ટ અને છુટ્ટાહાથની મારામારી:વડોદરામાં પતંગની લારીને લગાવવાના મુદ્દે 4 લોકો વચ્ચે જાહેરમાં મારામારી, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

વડોદરા શહેરમાં હાથીખાના ગેટ-1ની સામે ચાર લોકો વચ્ચે મારામારીનો વિડીયો થતા કુંભારવાડા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. આ વીડિયોમાં 4 લોકો કમરના બેલ્ટ તથા છૂટા હાથથી મારામારી કરતા જોવા મળે છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરમાં હાથીખાના ગેટ-1ની સામે કબીર ચિકનના સામેના રોડ પર 4 વ્યક્તિઓ વચ્ચે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં કેટલાક વ્યક્તિઓ જાહેર રોડ પર જોરથી બૂમો પાડીને અને કમરના બેલ્ટ તથા છૂટા હાથથી મારામારી કરતા જોવા મળે છે. આ ઝઘડો પતંગની લારી લગાવવાના મુદ્દે અંદરો અંદરની વિવાદને કારણે થયો હતો. કુંભારવાડા પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે અને સામેલ વ્યક્તિઓની ઓળખ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.કુંભારવાડા પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, અબ્દુલમજીદ અબ્દુલરહેમાન સૈયદ અને અબ્દુલગની અબ્દુલરહેમાન સૈયદને શરીરે સામાન્ય ઈજાઓ થઈ છે. વાયરલ વીડિયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે અને મારામારીમાં સામેલ વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપીઓના નામ પ્રથમ પક્ષ 1. અબ્દુલમજીદ અબ્દુલરહેમાન સૈયદ (રહે: હાથીખાના ગેટ-૧ની સામે કબીર ચિકનની સામે, ઈન્દિરાનગર, વડોદરા શહેર) 2. અબ્દુલરમઝાન અબ્દુલમજીદ સૈયદ (રહે: તે જ) બીજો પક્ષ 3. અબ્દુલગની અબ્દુલરહેમાન સૈયદ (રહે: સદર સ્થળ) 4. આરીફ સલીમભાઈ મલેક (રહે: અજબડીમીલ, યાકુતપુરા, વડોદરા શહેર) ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી વડોદરા શહેરમાં મારામારીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. લોકોમાં જાણે કાયદો વ્યવસ્થાને લઈને કોઈ ડર જ ન હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેને લઇને વડોદરા પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે અને આ પ્રકારના અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 9:37 am

અમદાવાદમાં સ્પોર્ટ્સ બાઈક ચાલકે યુવકને ટક્કર મારતાં મોત:સીજી રોડ પર બે મિત્રો ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ને ઉડાવ્યા, બાઈકચાલક સહિત બેને ઈજા

અમદાવાદના સી.જી રોડ પર ગત મોડી(4 જાન્યુઆરી) રાતે એક સ્પોર્ટ્સ બાઈક ચાલકે પૂર ઝડપે આવીને રોડ ક્રોસ કરી રહેલા યુવકને અડફેટે લીધો હતો. બાઇક ચાલક અને રોડ ક્રોસ કરી રહેલા યુવક બંનેને ઇજા થઈ હતી. પરંતુ રોડ ક્રોસ કરી રહેલા યુવકનું ગંભીર ઇજાના કારણે સ્થળ પર જ મોત થયું હતું. બાઇક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ બાઈક ચાલક પૂર ઝડપે આવીને ટક્કર મારીમળતી માહિતી અનુસાર, સી.જી રોડ પર ભાડાના મકાનમાં રહેતો 25 વર્ષીય પ્રકાશ ડિંડોર તેની સોસાયટીમાં રહેતા મિત્ર મહેન્દ્ર ચૌહાણ સાથે ચાલવા ગયા હતા. બંને મિત્રો ચાલીને મરડિયા પ્લાઝા પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે એક સ્પોર્ટ્સ બાઈક ચાલક પૂર ઝડપે આવ્યો હતો જેને પ્રકાશને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પ્રકાશને ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયોઅકસ્માતમાં પ્રકાશને પૂરઝડપે ટક્કર વાગતા પ્રકાશના પગ પર બાઇક પર હતા. અકસ્માત કરનાર સુફિયાન મુસ્તુફા ગોતાના PGમાં રહે છે. સુફિયાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યારે પ્રકાશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. બી ડિવિઝન ટ્રાફિક પોલીસે સુફિયાન મુસ્તુફા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ............

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 9:35 am

સુરતમાંથી ફરી ઝડપાયું નકલી ઘીનું કારખાનું:તબેલાની આડમાં ચાલતું હતું કૌભાંડ; સોયાબીન-વેજિટેબલ ઓઈલમાં એસેન્સ ભેળવી નકલી ઘી બનાવાતું હતું

સુરતમાંથી ફરી નકલી ઘી ઝડપાયું છે. લસકાણા વિસ્તારમાંથી તબેલાની આડમાં નકલી ઘી બનાવવાનું કારખાનું ધમધણી રહ્યું હતું. પોલીસે માહિતીના આધારે છાપો મારીને નકલી ઘીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સોયાબીન ઓઈલ અને વેજિટેબલ ઓઈલમાં ઘી બનાવવાનું એસેન્સ ભેળવી નકલી ઘી બનાવાતું હતું. રાજ્યભારમાં શુદ્ધ ઘીના નામે નકલી ઘીનું વેચાણ થતું હતું. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ....

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 9:18 am

ડુમસના દરિયાઈ વિસ્તારમાંથી ડીઝલની ચોરી ઝડપાઈ:તસ્કરો શિપમાં ઇલેક્ટ્રિક મોટર લગાવીને પાઇપલાઇન દ્વારા ડીઝલ ખેંચતા

સુરત એસ.ઓ.જી. પોલીસને ડીઝલ ચોરીના એક મોટા રેકેટને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળી છે. ડુમસના દરિયાઈ વિસ્તારમાં લંગરવામાં આવેલા મોટા જહાજોમાંથી મશીનરી દ્વારા ડીઝલની ચોરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ કૌભાંડમાં તસ્કરો શિપમાં ઇલેક્ટ્રિક મોટર લગાવીને પાઇપલાઇન દ્વારા ડીઝલ ખેંચતા હતા અને તેને ડ્રમમાં ભરીને સસ્તા ભાવે બારોબાર વેચી દેવાની ફિરાકમાં હતા. પોલીસની સતર્કતાને કારણે આ આખું નેટવર્ક પકડાઈ ગયું છે. પોલીસને તપાસ દરમિયાન દરિયા કિનારાના વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં ડીઝલનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ ૭૫ જેટલા ડ્રમ કબજે કર્યા છે, જેમાં આશરે 10 લાખ રૂપિયાની કિંમતનું ચોરીનું ડીઝલ હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં એસ.ઓ.જી. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી, આ ગુનામાં સંડોવાયેલા શખ્સોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરીથી દરિયાઈ માર્ગે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર મોટી લગામ લાગી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 8:58 am

પિકઅપ ગાડી પલટી, બેનાં મોત, 26 ઈજાગ્રસ્ત:બોટાદના મિલેટ્રી રોડ પર 28 ડિસેમ્બરે થયેલા અકસ્માતના CCTV સામે આવ્યા; વાન બેવાર ગુલાંટ ખાતી રોડ પર ઢસડાઇ

બોટાદમાંથી એક ગંભીર અકસ્માતના દૃશ્યો સામે આવ્યા છે. મિલેટ્રી રોડ પર ગત 28 ડિસેમ્બરના રોજ બપોરના સમયે થયેલા આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા, જ્યારે 26 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ભયાનક ઘટનાના લાઈવ CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, મિલેટ્રી રોડ પરથી પસાર થઈ રહેલી એક પિકઅપ ગાડી અચાનક ડ્રાઈવરના કાબૂ બહાર જઈ ગઈ હતી. ગાડી પલટી મારીને બેવાર ગુલાંટ ખાતી રોડ પર પલટી ગઈ હતી. માહિતી મુજબ, શહેરના હરણકુઈ વિસ્તારના એક જ કુટુંબના આશરે 28 લોકો વાડીએ જમવાના કાર્યક્રમ માટે આ પિકઅપ ગાડીમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી પલટી ખાઈ ગઈ હતી. સમગ્ર અકસ્માતની ઘટના નજીક લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 8:43 am

સાઉથ બોપલના સોબો સેન્ટરમાં આગ બાદ મોટો બ્લાસ્ટ:ફટાકડા-પતંગના સ્ટોલમાં ભીષણ આગ; મોડીરાતે ગેસ સિલિન્ડર ફાટવાના અવાજથી સ્થાનિકો ફફડી ઉઠ્યાં

અમદાવાદના સાઉથ બોપલમાં સોબો સેન્ટર ખાતે મોડીરાતે ફટાકડા અને પતંગના સ્ટોલમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ એક મોટો બ્લાસ્ટ સંભળાયો હતો અને જોર-જોરથી ફટાકડાઓ ફૂટવાને લઈ આસપાસના સ્થાનિક રહીશોમાં ભય ફેલાયો હતો. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. પતરાના શેડમાં દુકાનો ઊભી કરાઈ હતી આગ લાગવાને કારણે એક મોટો બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. સ્ટોલમાં ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યો હતું, જેમાં બ્લાસ્ટ થયો હતો. પતરાના શેડ બનાવીને દુકાનો ઊભી કરવામાં આવી હતી, જેમાં ફટાકડા અને પતંગ તેમજ અન્ય દુકાનો પણ હતી. જોકે, ફાયરકર્મીઓ સમયસર પહોંચ્યા હતા અને આગને વધુ પ્રસરતા રોકી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 8:02 am

બગદાણા હુમલા કેસને લઈ કોળી સમાજના ધારાસભ્યો મુખ્યમંત્રીને મળશે:નવનીત બાલધિયા પર થયેલા હુમલાની ન્યાયિક તપાસની માગ, માયાભાઈ આહીરના પુત્ર પર ષડયંત્ર રચ્યાનો આક્ષેપ

બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસો દ્વારા કરાયેલા હુમલાના ઘેરા પડઘા પડ્યા છે. નવનીત બાલધિયાએ પોતાના પર થયેલા હુમલા પાછળ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે અને પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવનીત બાલધિયાના ખબર અંતર પૂછવા ગયેલા રાજુલાના ધારાસભ્યએ આ મામલે સોમાવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીને મળી રજૂઆત કરવાનો નિર્ણય કર્યો હતો. આજે સવારે કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ સભ્ય ગાંધીનગર પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને એકત્ર થશે અને ત્યારબાદ સાડા દસ વાગ્યે મુખ્યમંત્રીને રજૂઆત માટે જશે. શું છે સમગ્ર મામલો?બગદાણામાં આઠ લોકોએ કરેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે, મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી. જેથી માયાભાઈએ કહ્યું હતું કે, હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતા મેં મારા ચાર પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતા તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું. જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું તેને જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું છે. પોલીસ મારો કેસ ડાયવર્ટ કરી રહી છે. મારી માગ છે કે, આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા પોલીસ તેની તપાસ કરે. કુંવરજી બાવળિયા અને રાજેશ ચુડાસમાએ નવનીત બાલધિયા સાથે મુલાકાત કરી3 જાન્યુઆરીએ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ પણ મહુવાની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવનીત બાલધિયાના ખબરઅંતર પૂછ્યા હતા. બંને નેતાઓએ જણાવ્યું હતું કે, નવનીતભાઈને યોગ્ય ન્યાય મળે અને પોલીસ આ મામલે નિષ્પક્ષ તપાસ કરે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ અને અન્ય આગેવાનો સોમવારે ગાંધીનગર જશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 8:00 am

Dy. CM સંઘવી આજે રાજકોટમાં:11 મીએ PMના હસ્તે ઉદ્ઘાટિત સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરશે

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં તા. 11 જાન્યુઆરીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શુભારંભ થવાનો છે. આ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગ સાહસિકો માટે પ્રગતિ અને તકોના નવા દ્વાર ખોલવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રિજનલ કોન્ફરન્સ અને તેને સંલગ્ન તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. જેના અનુસંધાને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સોમવારે રાજકોટ જિલ્લાની મુલાકાતે છે. તેઓ કલેક્ટર કચેરી ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન સાથે તેમજ રીજનલ કોન્ફરન્સના આયોજન સંબંધિત બાબતો અંગે વિવિધ બેઠકો કરશે. જે બાદ નાયબ મુખ્યમંત્રી પ્રેસ મીડિયાને સંબોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી જાન્યુઆરીના બપોરે રાજકોટ પધારશેમારવાડી યુનિવર્સિટી ખાતે આગામી તારીખ 11 અને 12 જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે. જેની રીવ્યુ બેઠક તાજેતરમાં જ રાજકોટના પ્રભારી જીતુ વાઘાણી ન અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં તેમણે જાહેર કર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી જાન્યુઆરીના બપોરે રાજકોટ પધારશે. જુના એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા સ્વદેશી થીમ સાથે તેમનું સ્વાગત થશે. જે બાદ એક કિલોમીટર જેટલો તેમનો રોડ શો યોજાશે. આ વાઇબ્રન્ટ સમિટમાં જાપાન અને યુક્રેન સહિત 22 દેશો જોડાવાના છે. 6,364 ઉદ્યોગકારોના રજીસ્ટ્રેશન થઇ ચૂક્યા છે, 26400 ચોરસ મીટરમાં ટ્રેડ શો થશે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના ઓટો મોબાઇલ, સિરામિક સહિતના ઉદ્યોગોને વૈશ્વિક ફલક મળવાનું છે. 20થી વધુ સેમિનાર હોલમાં દરરોજ અલગ અલગ સેમિનાર યોજાશેઆ ઉપરાંત 4500 ચોરસ મીટરમાં પેવેલિયન બનાવવામાં આવ્યું છે. જેમાં MSME, કુટિર અને હસ્તકલા ઉદ્યોગના ઉદ્યોગકારો હશે. જેમાં મુખ્ય આકર્ષણની વાત કરવામાં આવે તો ડેઇલી લક્કી ડ્રો, કારીગરો દ્વારા થતું ઉત્પાદન, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અને GI ટેગ ડિસ્પ્લે રહેશે. જેમાં અદાણી, રિલાયન્સ અને ટાટા કેમિકલ જેવી મોટી કંપનીઓ પણ ચાર ક્ષેત્રમાં સહભાગીદાર થવાની છે. અહીં 4000થી વધુ ઉદ્યમીઓ હશે. 20થી વધુ સેમિનાર હોલમાં દરરોજ અલગ અલગ ક્ષેત્રના સેમિનાર યોજવામાં આવશે. હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અધિકારીઓ-પદાધિકારીઓની બેઠકઆ દરમિયાન સોમવારે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અધિકારીઓને પદાધિકારીઓની બેઠક યોજાશે. જેમાં રાજકોટ ભાજપના લોકસભા અને રાજ્યસભાના સાંસદ, ધારાસભ્યો, મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની સાથે વાઇબ્રન્ટ સમિટના મુખ્ય આયોજક ઇન્ડેક્ષ- બીના મેનેજીંગ ડિરેક્ટર કે.સી. સંપટ, કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, રૂડાના સી.ઈ.ઓ. ગૌતમ મિયાણી અને પ્રાંત અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહેશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 8:00 am

વલસાડ કોર્ટમાં આધાર કાર્ડ કેમ્પનું આયોજન:રજીસ્ટ્રેશન અને સુધારા માટે 9 જાન્યુઆરીએ કેમ્પ યોજાશે

વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA) દ્વારા વલસાડ જિલ્લા અદાલત ખાતે આધાર કાર્ડ રજીસ્ટ્રેશન અને સુધારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ન્યાયિક વિભાગના કર્મચારીઓ, વકીલો અને પક્ષકારોની સુવિધા માટે યોજાશે. આ કેમ્પ 9મી જાન્યુઆરી 2026 ના રોજ સવારે 11 થી સાંજે 5 કલાક સુધી ચાલશે. તેનું સ્થળ ઈ-સેવા કેન્દ્ર, ગ્રાઉન્ડ ફ્લોર, ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડીંગ, વલસાડ ખાતે રાખવામાં આવ્યું છે. કેમ્પનો લાભ 18 વર્ષ સુધીના બાળકો, જેમના આધાર કાર્ડ બન્યા નથી અથવા અપડેટ કરવાના છે, તે લઈ શકશે. ઉપરાંત, જે પુખ્ત વયના લોકોના આધાર કાર્ડને 10 વર્ષથી વધુ સમય થઈ ગયો હોય અને અપડેટ કરાવ્યા ન હોય, અથવા જેમણે નવું આધાર કાર્ડ કઢાવવું હોય, તેઓ પણ આ સુવિધાનો લાભ લઈ શકશે. લાભાર્થીઓએ જન્મનું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), રહેઠાણનો પુરાવો, માતા-પિતાના આધાર કાર્ડ અને સુધારા માટે અસલ આધાર કાર્ડ જેવા જરૂરી અસલ દસ્તાવેજો સાથે રાખવાના રહેશે. આ કેમ્પમાં ડેમોગ્રાફિક અપડેશન માટે ₹ 50 અને બાયોમેટ્રિક અપડેશન માટે ₹ 100 ની નિયત ફી ચૂકવવાની રહેશે. વલસાડના પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા જારી કરાયેલ સૂચના મુજબ, આ કેમ્પના સુચારું આયોજન માટે તમામ સંબંધિત કર્મચારીઓ અને વકીલોએ પોતાના નામની નોંધણી 7મી જાન્યુઆરી 2026 સુધીમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં કરાવી લેવાની રહેશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:55 am

'AAPના કાર્યકરો ભાજપમાં જોડાયાની વાત પાયાવિહોણી':વલસાડ ‘આપ’ પ્રમુખનું નિવેદન, કહ્યું- 'ભાજપ અમારા કાર્યકરોનું મનોબળ તોડે છે'

વલસાડ જિલ્લાના ફલધરા ખાતે ભાજપના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી (AAP) ના 300 થી 400 કાર્યકરો જોડાયા હોવાના અહેવાલોને વલસાડ 'આપ' પ્રમુખે પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે આ દાવાઓમાં કોઈ તથ્ય નથી અને ભાજપ દ્વારા કાર્યકરોનું મનોબળ તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં, 3 જાન્યુઆરીની રાત્રે ફલધરા ખાતે ભાજપ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 'આપ' ના 400 જેટલા સક્રિય કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાના દવા સાથે સાંસદ ધવલ પટેલના સમાચાર સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી વહેતા થયા હતા. આ સમાચારને વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ જીતુ દેસાઈ અને ગુજરાત પ્રદેશ એસ.ટી. વિંગના વાઈસ પ્રેસિડેન્ટ કમલેશ પટેલે સખત શબ્દોમાં વખોડી કાઢ્યા છે. તેમણે આને 'ભાજપનો ભ્રામક પ્રચાર' ગણાવ્યો છે. વલસાડ જિલ્લા 'આપ' પ્રમુખ જીતુ દેસાઈએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાની વાત તદ્દન પાયાવિહોણી છે. 'આપ' નો કોઈ પણ ચાલુ હોદ્દેદાર ભાજપમાં જોડાયો નથી. ઉલટાનું, છેલ્લા છ-સાત મહિનામાં અનેક નવા કાર્યકરો 'આપ' માં જોડાયા છે અને પક્ષ વધુ મજબૂત બની રહ્યો છે. તેમણે ઉમેર્યું કે 'આપ' આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પૂરી તાકાતથી લડશે. ગુજરાત પ્રદેશ એસ.ટી. વિંગના વાઈસ પ્રેસિડેન્ટ કમલેશ પટેલે પણ આ વાતને નકારતા કહ્યું કે, ભાજપ લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે. આમ આદમી પાર્ટી આજે એક પરિવાર સમાન બની ગઈ છે જે લોકોના હક, અધિકાર, શિક્ષણ અને આરોગ્ય માટે લડી રહી છે. તેમણે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને પેસા (PESA) કાયદા બાબતે ભાજપ દ્વારા થતા અન્યાયનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે લોકો હવે જાગૃત થયા છે અને તેઓ 'આપ' સાથે જોડાઈ રહ્યા છે.આમ આદમી પાર્ટીના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પક્ષના પાયાના કાર્યકરો મક્કમ છે અને ભાજપ દ્વારા ફેલાવવામાં આવતી આવી અફવાઓથી પક્ષને કોઈ નુકસાન થશે નહીં.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:54 am

ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો:બોટાદના ફ્રી મેડિકલ કેમ્પમાં 95 દર્દીઓને દવા અપાઈ

બોટાદના નવ નાળા પાસે, હરણ કુઈ રોડ, નાઈટ સેન્ટર હોમ ખાતે જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ અને જી.સી.એસ. હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે રવિવાર ના ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં જી.સી.એસ. હોસ્પિટલ અમદાવાદ ના સુપર સ્પેશ્યાલિસ્ટ ડો.સ્મિત કાપડીયા , ડો.ઝીલ પટેલ , ડો.એકતા વ્યાસ, કેમ્પ કોઓર્ડિનેટર અંજલી ગેડામ એ માનદ સેવા આપી 95 દર્દીઓને તપાસી સ્થળ પર જ ફ્રી દવા આપવામાં આવી હતી તેમજ કેમ્પ માંથી હોસ્પિટલમાં આવનાર દર્દી ઓને એક્સ રે ,સોનોગ્રાફી , બ્લડ ,યુરિન તપાસ ફ્રી કરવામાં આવશે.જ્યારે આયુષ્યમાન કાર્ડ મારફત મફત ઘૂંટણ રિપ્લેસમેન્ટ કરી આપવામાં આવશે. આ પ્રસંગે જાયન્ટસ સંસ્થા ના પ્રમુખ ડો. પ્રશાંત કળથિયા, ફેડરેશન ઉપપ્રમુખ ડો. કે બી શાહ , પૂર્વ પ્રમુખ કેતન રોજેસરા ,ફેડરેશન ઓફિસર સી.એલ. ભીકડીયા, નિલેશ કોઠારી ,સેક્રેટરી દર્શન પટેલ , ઉપપ્રમુખ દીપક માથુકિયા , ડો,પરેશ ભાઈ દરજી,હરેશભાઈ પીઠવા, પ્રકાશભાઈ ભીમાણી , રાજુભાઈ ડેરૈયા, હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:53 am

બોટાદના ડીએસઓ જી.એસ.મકવાણાને સુરેન્દ્રનગર મુકાયા‎:બોટાદ જિલ્લાનાં ઉદ્યોગ સાહસિકોને ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે અપીલ

વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)-કચ્છ અને સૌરાષ્ટ્રનું આયોજન 11 અને 12 જાન્યુઆરી 26 દરમિયાન મારવાડી યુનિવર્સિટી, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ કોન્ફરન્સનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા થનાર છે. આ કોન્ફરન્સમાં બોટાદ જિલ્લાનાં અગ્રગણ્ય ઉદ્યોગ સાહસિકો, ઔદ્યોગિક સંગઠનો તથા એસો., ઉદ્યોગકારો બહોળી સંખ્યામાં લાભ લેવા જઈ રહ્યાં છે. ખાસ કરીને બોટાદ જિલ્લાનાં તમામ ઉદ્યોગસાહસિકોને આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી લેવા બોટાદ વહિવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. VGRCમાં 11જાન્યુઆરી અને 12 જાન્યુઆરીના કાર્યક્રમોમાં ભાગ લેવા ઇચ્છુક બોટાદ જિલ્લાનાં ઉદ્યોગકારોએ https://vibrantguj arat. com/registration પર જઈને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું અગત્યનું છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:52 am