SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
...

નારણપુરામાં માતૃશક્તિ દ્વારા રામોત્સવ કાર્યક્રમ:વિશ્વ હિન્દુ પરિષદની આચાર પદ્ધતિ મુજબ ઉજવણી

કર્ણાવતી મહાનગરના ભાગવત વિભાગ અંતર્ગત નારણપુરા જિલ્લાના વાડજ પ્રખંડમાં માતૃશક્તિ દ્વારા રામોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદની આચાર પદ્ધતિ મુજબ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં નારણપુરા જિલ્લાના સહ-સંયોજિકા ભાવનાબેને વક્તા તરીકે ઉપસ્થિત રહી હતી. તેમણે કુટુંબ પ્રબોધન અને સામાજિક સમરસતા જેવા વિષયોને ભગવાન રામચંદ્રના જીવન ચરિત્ર સાથે જોડીને વર્ણવ્યા હતા. આ પ્રસંગે માતૃશક્તિ વિશ્વ હિન્દુ પરિષદ, નારણપુરાના જિલ્લા સંયોજિકા હેતલબેન પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંકલન રંજનબેન દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લા તેમજ પ્રખંડની અન્ય જવાબદાર માતૃશક્તિ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતી. કાર્યક્રમનો સમાપન થાળ આરતી અને જયઘોષ સાથે કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 8:56 am

મંગેતરની સામે જ યુવકને છરીના ઘા ઝીંકી લૂંટ:ભાવનગરમાં રાતના વાત કરવા નીકળેલા યુવક-યુવતીને બે બુકાનીધારીએ ટાર્ગેટ કર્યા

ભાવનગરના ઈસ્કોન કલબથી આગળ વિક્ટોરીયા પાર્કની પાછળના ભાગે 1 એપ્રિલની મોડીરાતે લૂંટની ઘટના સામે આવી છે. શહેરના કાળીયાબીડ વિસ્તારમાં શક્તિ માઁના મંદિર પાસે રહેતો મનદિપસિંહ દિલીપસિંહ યાદવ (ઉં.વ 25) ગતરાત્રે 11 વાગ્યાના અરસામાં તેની મંગેતર દિશા ડાભી સાથે બાઈક ઉપર આંટો મારવા માટે નીકળ્યો હતો. તે વેળાએ શહેરના વિક્ટોરીયા પાર્કની પાછળના ભાગે ઈસ્કોન કલબથી સાગવાડી જવાના માર્ગ પર વળાંકમાં બન્ને બાઈક પાર્ક કરીને વાતો કરી રહ્યાં હતાં. આ સમયે બાઇકમાં સવાર બે શખસે આવી યુવકને છરી બતાવી તમામ સામાન આપી દેવાનું કહ્યું હતું. યુવકને છરીના બે ઘા માર્યાઆ સમયે હાથાપાઈ થતાં તસ્કરોએ મનદિપસિંહને છરીના બે ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી તેનું પાકીટ તેમજ દિશાબેનનું પર્સ અને મોબાઈલ મળી અંદાજિત 8થી 10 હજાર રોકડની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતાં. દરમિયાન ઈજાગ્રસ્ત મનદિપસિંહને ગંભીર હાલતમાં ભાવનગર સર. ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ઘટનાની જાણ થતા લોકલ ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને નિલમબાગ પોલીસનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત યુવક અને યુવતીની પૂછપરછ બાદ હુમલાખોર શખસોને ઝડપી પાડવા કવાયત્ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 8:34 am

ચૈત્રી પૂનમે ચોટીલામાં 1.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર:40 ડિગ્રી તાપમાનમાં પણ ભક્તોએ ચામુંડાના દર્શન કર્યા; અતૂટ આસ્થાનો અવિરત પ્રવાહ; 150થી વધુ સેવા કેમ્પો કાર્યરત

ચૈત્રી પૂનમ એટલે શક્તિની આરાધનાનો પવિત્ર દિવસ. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે બિરાજમાન મા ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે. આકરી ગરમી અને 40 ડિગ્રી તાપમાન પણ ભક્તોની શ્રદ્ધાને ડગાવી શક્યું નથી. અંદાજે દોઢ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પદયાત્રીઓથી ઉભરાયા હાઈવે: 150થી વધુ સેવા કેમ્પો કાર્યરત ચૈત્રી પૂનમે ચોટીલા ડુંગર પર ધજા ચડાવવાનું વિશેષ મહત્વ હોવાથી ઉત્તર ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરથી હજારો ભક્તો પગપાળા ચોટીલા પહોંચી રહ્યા છે. વિરમગામ-લખતર-સુરેન્દ્રનગર હાઈવે હાલ પદયાત્રીઓથી ભરાઈ ગયો છે. ઝાલાવાડની ધરતી પર સેવાભાવી યુવાનો અને સંસ્થાઓ દ્વારા 150થી વધુ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. ડુંગર પરની વ્યવસ્થા: 24 કલાક પ્રસાદ અને ગરમીથી રક્ષણ ચોટીલા ડુંગર મહંત પરિવારના વસંતગીરીબાપુના જણાવ્યા અનુસાર, ભક્તોના ભારે ધસારાને ધ્યાને રાખીને પૂનમના દિવસે ૨૪ કલાક પ્રસાદની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે. કાળઝાળ ગરમીને કારણે તળેટીથી ડુંગર સુધીના માર્ગ પર લીલી તાડપત્રી બાંધીને છાંયો કરવામાં આવ્યો છે, જેથી ભક્તોને ચઢાણ વખતે રાહત રહે. સાથે જ પીવાના ઠંડા પાણીની ઠેર-ઠેર વ્યવસ્થા ઉભી કરાઈ છે. ચોટીલા પહોંચવાના વિવિધ માર્ગો સમગ્ર ગુજરાતમાંથી ભક્તો અલગ-અલગ રસ્તેથી ચોટીલા પહોંચી રહ્યા છે: ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વહીવટી સજ્જતા લીંબડી ડીવાયએસપી વી.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. ભાદરવી પૂનમે જે રીતે અંબાજીનું મહત્વ છે, તે જ રીતે ચૈત્રી પૂનમે ચોટીલામાં ભક્તિ, શ્રદ્ધા અને સેવાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 8:33 am

રાત ઓછી વેશ ઝાઝા:ચૂંટણીની તૈયારી માટે માત્ર 25 દિવસનો સમય, અગાઉ 36 દિ’ મળ્યા હતા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે. જે મુજબ 26 એપ્રિલના રોજ મતદાન અને 28 એપ્રિલના રોજ મતગણતરી યોજાશે. આ વખતની ચૂંટણીની જાહેરાતથી માંડી પરિણામ જાહેર થવા સુધી માત્ર 25 દિવસનો સમયગાળો મળે છે. જે ગત વખતની ચૂંટણી કરતાં 11 દિવસ ઓછો છે. કચ્છમાં 9 તાલુકા પંચાયત 1 જિલ્લા પંચાયત અને 1 મહાનગરપાલિકાની ચુંટણી યોજાવાની છે. ગાંધીધામ મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો પર ચુંટણી યોજાશે જ્યારે 5 નગરપાલિકામાં અંજાર, માંડવી, ભુજ, મુન્દ્રા-બારોઇ, નખત્રાણાના 43 વોર્ડની 172 બેઠકો, કચ્છની 9 તાલુકા પંચાયતોના 186 સીટ જ્યારે જિલ્લા પંચાયતની 38 સીટ પર મતદાન થવાનું છે. ત્યારે ઉમેદવાર પસંદગી, ફોર્મ ભરવા, પ્રચાર પ્રસાર અને અન્ય તૈયારી માટે માત્ર 25 દિવસનો સમયગાળો હોવાથી કચ્છમાં ચુંટણી જાહેર થતા જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગાંધીધામ મહાનગરપાલિકાના 13 વોર્ડ માટે પ્રથમવાર જામશે ખરાખરીનો જંગમનપા વિસ્તારમાં મર્જ થયેલા 11 ગામના મતદારોએ અત્યાર સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પક્ષીય ધોરણે મતદાન કર્યું નહતું, પહેલીવાર પક્ષના પ્રતિક પર લડાતી ચૂંટણીમાં ભાગ લેશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીધામ મનપાના 13 વોર્ડ માટે સામાન્ય ચૂંટણી યોજવાની વિધિવત જાહેરાત આજે કરી દીધી છે. આ સાથે કડક આચારસંહિતા અમલી બનવાની સાથે સાથે શહેરમાં ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થઇ ગયો છે. શહેરના 52 વોર્ડમાં નગરસેવકોને ચૂંટવા માટે મતદાર પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે. ગાંધીધામ મનપાની ચૂંટણીમાં 2 લાખ 15 હજાર 313 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને 52 ઉમેદવારોને ચૂંટશે. મનપામાં 1 લાખ 12 હજાર 250 પુરૂષ અને 1 લાખ 03 હજાર 059 સ્ત્રી તેમજ 4 અન્ય મતદારો મતદાન કરી શકશે. મનપાની ચૂંટણી માટે 234 મતદાન મથકો રહેશે સાથે જ મનપા માટે 3 આર.ઓ. અને 3 એ.આર.ઓ.ની નિમણુંક વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. ગાંધીધામ મનપાની પ્રથમવાર ચૂંટણી યોજાઇ રહી છે. ભાજેપ ઉમેદવાર માટે કડક અને પારદર્શક માપદંડ નક્કી કર્યાસ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી જિલ્લા ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પક્ષ દ્વારા ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો માટે વિશેષ ફોર્મ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વિગતવાર માહિતી ફરજિયાત કરવામાં આવી છે. ઉમેદવારોએ પોતાના સોશિયલ મેડિયામાં સક્રિયતા અંગે સંપૂર્ણ વિગતો આપવી પડશે, જેમાં ફોલોઅર્સની સંખ્યા અને વિવિધ પ્લેટફોર્મ પરની હાજરીનો સમાવેશ થાય છે. ઉપરાંત ઉમેદવાર સામે નોંધાયેલા પોલીસ કેસોની સંખ્યા તથા તેની વિગત પણ રજૂ કરવી ફરજિયાત રહેશે. આ સાથે ઉમેદવારોએ સરકારી સંસ્થાઓ તથા એનજીઓમાં સંભાળેલી જવાબદારીઓ, પક્ષમાં વર્તમાન હોદ્દો, પ્રાથમિક અને સક્રિય સભ્યપદની વિગતો પણ આપવાની રહેશે. જિલ્લા, મંડળ/વોર્ડ, વિધાનસભા અને લોકસભા સીટની સંપૂર્ણ માહિતી સાથે અરજી કરવાની રહેશે. ધારાસભ્યો-સાંસદની ભલામણ નહીં ચાલેચૂંટણી પૂર્વે યોજાયેલી બેઠકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા ટિકિટ ફાળવણી અને કાર્યપદ્ધતિ અંગે કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પક્ષે કાર્યકરોને કેન્દ્રમાં રાખી નિર્ણય લેવાનો ભાર મૂક્યો છે અને સાંસદ-ધારાસભ્યો દ્વારા વ્યક્તિગત આધાર પર ટિકિટ કાપવાની પ્રથા ન અપનાવવા સૂચના આપી છે. ટિકિટ ફાળવણીમાં જૂના અને સંનિષ્ઠ કાર્યકરોને ન્યાય મળે તે માટે ખાસ ધ્યાન રાખવાની સાથે સેન્સ કમિટીને લોબિંગ અને દબાણ કરનારાઓના નામ અલગથી નોંધવા જણાવાયું છે. અનામિક પત્રો, સીડી અથવા પેનડ્રાઈવ દ્વારા આવતી ફરિયાદોને સ્વીકારવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. આ મુદ્દાઓ પર ચૂંટણીનો જંગ ખેલાશેચૂંટણીનું રણશીંગુ ફૂંકાઇ ચૂક્યું છે, ત્યારે આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા પર ચૂંટણી લડાશે, જેમાં નગરપાલિકા વિસ્તારોમાં રોડ, સફાઇ, ગટર, પાણી સહિતના મુદ્દાઓ બાબતે લડાશે જ્યારે તાલુકા પંચાયતની ચૂંટણીમાં સ્થાનિક સ્તરે વિવિધ ગામોમાં ગૌચર પર થયેલા દબાણો, પવનચક્કીઓ દ્વારા સીમ વિસ્તારમાં વૃક્ષોનું નિકંદન અને ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ ચર્ચામાં રહ્યા છે, ત્યારે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ વખતે લોકો મતદાન કરશે. ભાસ્કર એક્સપ્લેનરમનપામાં નવી બોડી અસ્તિત્વમાં આવ્યા પછી શું બદલાશે? અસ્તિત્વમાં આવનારી નવી બોડીના વહીવટમાં સૌથી મોટો ફેરફાર શું રહેશે?જવાબ : કોર્પોરેશનમાં નીતિ વિષયક બાબતોમાં સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી) પાસે સૌથી વધુ સત્તા હોય છે. ઉપરાંત કમિશનર વહીવટી વડા હોવાથી તમામ કામોની અમલવારી તેમના દ્વારા થાય છે. વિવિધ સમિતિઓ દ્વારા સેવા સંબંધિત કાર્યોનું વિકેન્દ્રીકરણ થવાથી માળખાકીય કામોમાં ઝડપી નિર્ણય લઈ શકાય છે. સામાન્ય નાગરિકોને રોજિંદા કામો માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે જવાની જરૂર રહેતી નથી. સરકારી કામગીરીમાં કેવા પ્રકારના ફેરફાર આવશે?જવાબ : કમિશનર વહીવટી વડા હોવાથી પ્રજાના રોજિંદા કામો, જેમ કે મિલ્કત નામ ફેરફાર, નકશા મંજૂરી, પાણી અને ગટર કનેક્શન, તેમજ વેરા સંબંધિત કામગીરી સીધી અથવા તેમના તાબામાં પૂર્ણ થાય છે. ઘણીવાર આ કામો નાયબ કમિશનર કક્ષાના અધિકારીઓ દ્વારા પણ પૂર્ણ થઈ શકે છે. સરકારી ગ્રાન્ટમાં થનારા ફેરફારો?જવાબ : કોર્પોરેશનમાં માળખાકીય પ્રોજેક્ટ્સ જેમ કે રેલવે ઓવરબ્રિજ, અંડરબ્રિજ, કમ્યુનિટી હોલ, પે એન્ડ પાર્કિંગ જેવી યોજનાઓ માટે ગ્રાન્ટ અને લોન મળી શકે છે. હવે કેટલીક કોર્પોરેશનો બોન્ડ દ્વારા પણ નાણાકીય વ્યવસ્થા ઉભી કરે છે. રાજ્ય, કેન્દ્ર સરકાર અને નાણાકીય સંસ્થાઓ પાસેથી પૂરતી સહાય મળી રહે છે. ચૂંટાયેલી પાંખની સત્તામાં વધારો...જવાબ : લોકસભા અને વિધાનસભાની જેમ, કોર્પોરેશનમાં પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પોતાના વિસ્તારમાં નિશ્ચિત મર્યાદામાં વિકાસ કામો સૂચવવાની સત્તા હોય છે. બજેટમાં જોગવાઈ કરીને અને બોર્ડની મંજૂરીથી આ કામો હાથ ધરવામાં આવે છે. હાલ આવા ફંડમાંથી જાહેર સ્થળોએ બાંકડા વગેરે મૂકવામાં આવે છે, તેમજ અન્ય હેતુઓ માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. સત્તાધારી પક્ષની કામગીરી અને સુવિધામાં ફેરફારજવાબ : કોર્પોરેશન બન્યા બાદ મેયરને રહેવાની સુવિધા, ટેલિફોન, મોબાઇલ અને અન્ય ભથ્થાઓ મળે છે. સેમિનાર અને મીટિંગ માટે દેશ-વિદેશ પ્રવાસનો ખર્ચ પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને અન્ય સમિતિઓના ચેરમેનને વાહન સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. નગરસેવકોના બજેટમાં કોઈ ફેરફાર?જવાબ : નગરસેવકોને પોતાના વિસ્તારમાં વિકાસ કામો કરવા માટે કોર્પોરેશનની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને બજેટમાં જોગવાઈ કરવામાં આવે છે અને બોર્ડ દ્વારા રકમ નક્કી થાય છે. મનપામાં ભળેલા ગામોમાં કાર્યો કેવી રીતે થશે?જવાબ : નવા વિસ્તારોમાં પાણી, ગટર, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, કમ્યુનિટી હોલ, સ્મશાન, જનસેવા કેન્દ્રો, આરોગ્ય કેન્દ્રો, એમ્બ્યુલન્સ અને ફાયર સેવા જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. ઉપરાંત રિંગ રોડ, બાયપાસ, નવા સ્ટેશન-સ્ટોપ અને સિટી બસ સેવા પણ શરૂ થશે. - રમેશકુમાર પી. જોષી, નિવૃત્ત ચીફ ઓફિસર, ડેપ્યુટી સિવિલ એન્જિનિયર પાંચ નગરપાલિકાના મતદારોની સંખ્યા 2021માં 5 પાલિકામાં ભાજપ, બે તાલુકા પંચાયતમાં કોંગ્રેસ જીતી હતીનોંધનીય છે કે પાંચ વર્ષ પહેલા 2021માં યોજાયેલી ચૂંટણી વખતે કચ્છ જિલ્લાએ ફરી કમળ સાથે રહી ભાજપને એક તરફી વિજયી અપાવ્યો હતો. માત્ર બે તા.પં. સિવાય જી.પં., 5 ન.પા. અને 8 તા.પં.માં ભાજપનો જ્વલંત વિજય થયો હતો. પાંચેય નગરપાલિકામાં ભાજપની જીત થઈ હતી. ભૂજની 44 પૈકી ભાજપે 36 અને કોંગ્રેસે 8 બેઠકો મેળવી હતી. અબડાસા અને લખપત તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય થયો હતો.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 7:28 am

લીલાધરભાઇ ગડા ‘અધા’એ સ્થાપેલી સંસ્થા ઝળકી ઉઠી:ભોજાય સર્વોદય ટ્રસ્ટને ગ્રામોત્થાન કામગીરી બદલ 2025ના વર્ષનો ‘દર્શક’ એવોર્ડ જાહેર

સાહિત્ય, શિક્ષણ અને ગ્રામ પુનરૂત્થાન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારી પ્રતિભાઓને-સંસ્થાઓને પુરસ્કારવાના ઉદ્દેશથી રચાયેલા શ્રીમનુભાઇ પંચોળી ‘દર્શક’ ફાઉન્ડેશનનો વર્ષ 2025 ગ્રામ પુનર્રચના એવોર્ડ કચ્છના ‘ભોજાય સર્વોદય ટ્રસ્ટ’ને તથા સાહિત્ય એવોર્ડ સર્જનાત્મક લેખક મોહન પરમારને જાહેર કરાયો છે. શાલ, એક લાખનો ચેક અને તામ્રપત્ર સાથેનો આ એવોર્ડ ક્યારે અને ક્યાં અપાશે તે ટુંક સમયમાં જાહેર કરાશે. ફાઉન્ડેશનનાં અજય રાવલ અને સંજય ચૌધરીના જણાવ્યાનુસાર કચ્છના દુર્ગમ અને સરહદી પછાત વિસ્તારોમાં આરોગ્ય વિષયક સેવાઓની ખોટ પુરવા લીલાધરભાઇ ગડા ઉર્ફે ‘અધા’ એ 1996માં જેની સ્થાપના કરીએ ‘ભોજાય સર્વોદય ટ્રસ્ટ’ની તમામ સેવાકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર ગામડા અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ છે. આ ટ્રસ્ટ દ્વારા મહિલાઓને અને ખાસ કરીને ગર્ભાશયને લગતાં ગંભીર રોગ-કેન્સર સહિતની અત્યાધુનિક ઓપરેશન થિયેટર અને તજજ્ઞ તબીબો-મોબાઇલ યુનિટ દ્વારા સારવાર કરવામાં આવે છે. ઉપરાંત ટ્રસ્ટ દ્વારા માનસિક રીતે વિક્ષિપ્ત બાળકો માટે માનસ મંદિર નિવાસી શાળા, આંખની હોસ્પિટલ તથા દર મહિને 300 ડાયાલિસીસ કરતું સેન્ટર પણ ચલાવાય છે. સાહિત્ય ક્ષેત્રે એવોર્ડ મેળવનારા મોહન પટેલ વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર ઉપરાંચ વિવેચક પણ છે. 1970થી લેખન યાત્રાનો આરંભ કર્યો તેમના સાહિત્યમાં ગ્રામ્ય અને પછાત વર્ગના લોકોની સમયસ્યાઓનું સચોટ પ્રતિબિંબ પડે છે. તેમના ‘અચંબો’ વાર્તા સંગ્રહને 2011માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ પ્રાપ્ત છે. કચ્છને ચોથો દર્શક એવોર્ડ મળ્યો1992થી આ ‘દર્શક એવોર્ડ’ અપાય છે. 2000માં કચ્છના લેખક-સાહિત્યકાર ડો. ધીરેન્દ્ર મહેતાને સાહિત્યનો અને ગ્રામ સ્વરાજ સંઘ નીલપર (તા. રાપર)ને ગ્રામોત્થાનનો આ એવોર્ડ એનાયત થયેલો. 2006માં કાંતિસેન શ્રોફ ‘કાકા’ને મળ્યા બાદ ભોજાય સર્વોદય ટ્રસ્ટને ચોથો દર્શક ફાઉન્ડેશન એવોર્ડ એનાયત થશે. 2009માં વિનેશભાઇ અંતાણીને સાહિત્યક્ષેત્રનો એવોર્ડ મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 7:18 am

આરોગ્ય વિભાગમાં ફેરબદલી:આરોગ્ય વિભાગમાં 32 CHOની આંતરિક ફેરબદલીના આદેશ

કચ્છ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આંતરિક બદલીઓનો કરવામાં આવી છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા 32 કોમ્યુનિટી હેલ્થ ઓફિસર્સ (CHO) ની બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને સબ-સેન્ટરો પર ફરજ બજાવતા આ કર્મચારીઓની બદલી તેઓની સ્વ-વિનંતીના આધારે કરવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવેલા આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ તમામ બદલીઓ કર્મચારીઓની અંગત વિનંતીથી થઈ હોવાથી તેમને નિયમ મુજબ મળવાપાત્ર કોઈ પણ પ્રકારનું ભથ્થું કે હાજર સમયનો લાભ મળશે નહીં. આ આદેશનો અમલ તાત્કાલિક અસરથી કરવા માટે સંબંધિત તાલુકા હેલ્થ ઓફિસરોને સૂચના આપી દેવામાં આવી છે. આ બદલીઓમાં લખપત, ભુજ અને અબડાસામાંથી 5-5 CHO ની અન્યત્ર બદલી થઈ છે. આ ઉપરાંત રાપરમાંથી 2, મુન્દ્રામાંથી 2, નખત્રાણામાંથી ૩, ભચાઉમાંથી ૩ અને અંજાર તાલુકામાંથી 4 તેમજ માંડવીમાંથી 1 કર્મચારીની બદલી કરવામાં આવી છે. નિમણૂકની વાત કરીએ તો, સૌથી વધુ 15 જેટલા CHO ને ભુજ તાલુકાના વિવિધ સબ-સેન્ટરોમાં સ્થાન મળ્યું છે, જ્યારે અંજારમાં 5, ભચાઉમાં ૩, નખત્રાણામાં ૩, ગાંધીધામમાં ૨, માંડવીમાં 1 અને અબડાસામાં 1 કર્મચારીની નિમણૂક કરવામાં આવી છે. આ ફેરબદલીના કારણે લાંબા સમયથી પોતાના વતન કે અનુકૂળ સ્થળની રાહ જોતા આરોગ્ય કર્મચારીઓને મોટી રાહત મળી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 7:02 am

આર્ટેમિસ-2 : 50 વર્ષે નાસાનું સૌથી મોટું સમાનવ અવકાશી મિશન

- 1972માં એપોલો મિશન દરમિયાન અવકાશયાત્રીઓ ચંદ્રનું ચક્કર મારીને પરત આવ્યા હતા, આર્ટેમિસ-2 પણ ચંદ્રનું ચક્કર મારી પરત આવશે - એપોલો-13 મિશન બાદ નાસાનું આ પહેલું સમાનવ અભિયાન છે. આ અંદાજે પાંચ દાયકા બાદ પહેલું મોટું માનવ અભિયાન છે જેમાં અવકાશયાત્રીઓ 10 દિવસ અવકાશમાં પસાર કરશે. તેમાં ત્રણ પુરુષો અને એક મહિલાનો સમાવેશ થાય છે : અંતરિક્ષ યાત્રીઓ દ્વારા આ દરમિયાન ચંદ્ર ઉપર જીવન રક્ષક સંસાધનો, કોમ્યુનિકેશનના સંસાધનો, નેવિગેશન જેવા તમામ ફિચર્સની ચકાસણી કરવામાં આવશે. નાસાએ સૌથી પહેલાં 2022માં આર્ટેમિસ મિશન શરૂ કર્યું હતું. તે સમયે નાસાએ માનવરહિત યાન ચંદ્ર તરફ મોકલ્યું હતું.

ગુજરાત સમાચાર 2 Apr 2026 7:00 am

બાળકોના શિક્ષણ પર પડી શકે છે ગંભીર અસર:1400ની ઘટ વચ્ચે વધુ શિક્ષકો વતન ભણી જશે!

રાજ્ય સરકારે લાંબા સમયની રાહ બાદ 11,000 વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરી છે. એક તરફ રાજ્યના બેરોજગાર ઉમેદવારોમાં આનંદનો માહોલ છે, તો બીજી તરફ કચ્છ જેવા સરહદી જિલ્લામાં શિક્ષણ વિભાગ માટે આ જાહેરાત ચિંતાનું કારણ બની શકે છે. કચ્છમાં અત્યારે ધોરણ 1 થી 5 માં અંદાજે 1400 શિક્ષકોની ઘટ છે, ત્યારે નવી ભરતીના કારણે જૂના શિક્ષકો વતન નજીક જવા રાજીનામા આપે તેવી પૂરેપૂરી શક્યતા છે. સાથે કચ્છને આ નવી ભરતીમાં કેટલા શિક્ષકો મળશે તે પણ એક મોટો પ્રશ્ન છે. અગાઉ સરકારે કચ્છની ખાસ સ્થિતિને ધ્યાને રાખીને 4100 શિક્ષકોની (ધોરણ 1-5 માં 2500 અને 6-8 માં 1600) સ્પેશિયલ ભરતી જાહેર કરી હતી. જોકે, પૂરતા ઉમેદવારો ન મળતા આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ શકી ન હતી. હવે જ્યારે 11,000 ની મેગા ભરતી આવી છે, ત્યારે કચ્છમાં ફરજ બજાવતા અન્ય જિલ્લાના શિક્ષકો મેરિટના આધારે પોતાના વતન નજીક જવા તત્પર બનશે. શિક્ષણ જગતમાં ચર્ચા છે કે અગાઉની ભરતી વખતે પણ અનેક શિક્ષકોએ ૩ લાખ રૂપિયા જેવી માતબર રકમનું બોન્ડ ભરીને રાજીનામું આપ્યું હતું અને પોતાના જિલ્લામાં નિમણૂક મેળવી લીધી હતી. આ વખતે પણ જો આ જ સ્થિતિ સર્જાશે, તો કચ્છના અંતરિયાળ વિસ્તારના બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી શકે છે. વધુમાં, તાજેતરમાં થયેલી જિલ્લા ફેરબદલીના આંકડા હજુ સુધી નવી ભરતીની જાહેરાતમાં સ્પષ્ટપણે દર્શાવાયા નથી. જે શિક્ષકો બદલી કરાવીને અન્ય જિલ્લામાં ગયા છે તેમની ખાલી પડેલી જગ્યાઓ અંગે સરકારે જણાવ્યું છે કે ડેટા વેબસાઈટ પર અપડેટ કરવામાં આવશે. જોકે, વાસ્તવિકતા એ છે કે હાલની 1400ની ઘટમાં જો જૂના શિક્ષકો પણ વતન ભણી દોટ મુકશે, તો કચ્છમાં શિક્ષકોની અછત નિવારવાને બદલે વકરશે. હવે જોવાનું એ રહેશે કે સરકાર નવી ભરતી દ્વારા કચ્છને કેટલા નવા શિક્ષકો આપે છે અને સામે કેટલા જૂના શિક્ષકો કચ્છને ‘અલવિદા’ કહે છે. ઉલ્લખેનીય છે કે, વર્ષોથી કચ્છમાં શિક્ષકોનો મુદ્દો હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. તાજેતરમાં જ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને કચ્છમાં શિક્ષકોની કાયમી ભરતીના ઉકેલ માટે રજૂઆત કરી હતી. જ્યાં સુધી કચ્છમાં ઘટની સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી સ્થાનિક ઉમેદવારોની ભરતી કરવા અપીલ કરી હતી, ત્યારે હવે ચૂંટણી સમયે જ ફરી કચ્છમાં શિક્ષકોનો મુદ્દો ગરમાયો છે. કચ્છમાં શિક્ષકોની ઘટ મુદે સ્થાનિકની ભરતી જ કાયમી ઉકેલકચ્છના શિક્ષણવિદોનું માનવું છે કે જિલ્લામાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન ત્યાં સુધી નહીં ઉકેલાય જ્યાં સુધી સ્થાનિક સ્તરે ભરતી કરવામાં નહીં આવે. બહારના જિલ્લામાંથી આવતા શિક્ષકો થોડો સમય નોકરી કર્યા બાદ બદલી કરાવીને કે રાજીનામું આપીને વતન પરત ફરે છે, જેના કારણે કચ્છની શાળાઓમાં વર્ષો સુધી જગ્યાઓ ખાલી રહે છે અને બાળકોનું ભવિષ્ય જોખમાય છે. હાલમાં રાજ્યના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણમંત્રી ત્રિકમ ભાઈ છાંગા પણ આ ગંભીર મુદ્દે સરકારનું ધ્યાન દોરે તે જરૂરી છે. કચ્છના જ લાયકાત ધરાવતા સ્થાનિક ઉમેદવારોને જ સ્થાનિક સ્તરે પ્રાથમિકતા મળે તો જ શિક્ષકોની આ ‘આવ-જાવ’નો કાયમી અંત આવી શકે તેમ છે. વયમર્યાદા વટાવી ચુકેલા ઉમેદવારોને નવી ભરતીમાં છૂટછાટ આપવાની માંગ ઉઠીરાજ્ય સરકાર દ્વારા લાંબા સમય બાદ વિદ્યાસહાયકોની ભરતી જાહેર કરવામાં આવી છે, પરંતુ આ વિલંબના કારણે અનેક ‘ટેટ’ (TET) પાસ ઉમેદવારો માટે મુશ્કેલી સર્જાઈ છે. જે ઉમેદવારોએ વર્ષો પહેલા પરીક્ષા પાસ કરી હતી, તેઓ હવે નિર્ધારિત વયમર્યાદા વટાવી ચૂક્યા હોવાથી ભરતી પ્રક્રિયામાંથી બહાર થઈ જાય તેવી સ્થિતિ છે. શિક્ષક તરીકે કારકિર્દી બનાવવાના સપના જોતા આવા ઉમેદવારોને ન્યાય મળે તે માટે સરકાર દ્વારા વયમર્યાદામાં ખાસ છૂટછાટ આપવા અને યોગ્ય નીતિ ઘડવા માટેની પ્રબળ માંગ ઉઠી રહી છે. નવી ભરતી આશા જગાવશે કે ચિંતા?

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 6:57 am

શિક્ષકો માટે મહત્વની જાહેરાત:પ્રાથમિક શિક્ષકો માટે ઓનલાઇન જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો માટે જિલ્લાફેર બદલી પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. વધ-ઘટ અને આંતરિક જિલ્લાફેર બદલીની કામગીરી પૂર્ણ થયા બાદ હવે જિલ્લા ફેર બદલી કેમ્પ માટેનું શેડ્યુઅલ જાહેર કરાયું છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમિન પટેલ દ્વારા કરાયેલી રજૂઆતને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે. પ્રા. શિક્ષણ નિયામક પી. કે. ત્રિવેદી દ્વારા બહાર પાડેલી સૂચના મુજબ, જિલ્લા અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક (ધો.1 થી 5) અને ઉચ્ચ પ્રાથમિક (ધો.6 થી 8) શાળાના તમામ માધ્યમના શિક્ષકો માટે જિલ્લાફેર બદલીની ઓનલાઈન અરજી 21થી 23 એપ્રિલ દરમિયાન સ્વીકારવામાં આવશે. શિક્ષકોને અરજી કરતી વખતે શિક્ષણ વિભાગના ઠરાવ, નિયમો અને માર્ગદર્શિકાનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ ઓનલાઈન ફોર્મ ભરવા સૂચના આપવામાં આવી છે. એકવાર અરજી સબમિટ થયા બાદ તેમાં કોઈ ફેરફાર કરવાની મંજૂરી નહીં મળે. પ્રથમ તબક્કાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઉપલબ્ધ ખાલી જગ્યાઓ મુજબ આગળના તબક્કાની તારીખો વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. શિક્ષકોને જિલ્લા ફેર બદલી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સત્તાવાર વેબસાઈટ પર નજર રાખવાની સલાહ અપાઈ છે. જિલ્લા ફેર બદલીના આદેશો કોઈ પણ સંજોગોમાં રદ નહીં થાય તેવું પણ સ્પષ્ટ કરાયું છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 6:52 am

વિકાસ કામોની સમીક્ષા કરાઈ:ગાંધીનગરથી આવેલ ઉ. અધિકારીએ કરી ભુજમાં માર્ગ, ડ્રેનેજ-સફાઈની સમીક્ષા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 26 એપ્રિલની જાહેરાત થતા રાજકીય માહોલ ગરમાયો છે અને આગામી 25 દિવસ દરમિયાન રાજકીય ગતિવિધિઓ તેજ બનશે. આ વચ્ચે ભુજ શહેરમાં 30 માર્ચના રોજ સીએમ કાર્યાલયના નિર્દેશ મુજબ ઉચ્ચ કક્ષાના અધિકારીઓની ટીમે અચાનક મુલાકાત લીધી હતી, જેને લઈને સુધરાઈ અને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જાગી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ટીમ પાસે શહેરના વિકાસ કામોની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ હતી. અધિકારીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને માર્ગ, ડ્રેનેજ અને સફાઈ જેવા કામોની સ્થળ પર જ તપાસ કરી હતી. ખાસ કરીને સ્વચ્છતા સંબંધિત કામગીરીમાં કોઈ ખામી રહી ગઈ છે કે નહીં તે મુદ્દે પણ વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સરકાર તરફથી મળતી ગ્રાન્ટ હેઠળ ચાલી રહેલા પ્રોજેક્ટ્સની હાલત, ગુણવત્તા અને પ્રગતિની સમીક્ષા પણ આ મુલાકાતનો મુખ્ય હેતુ હોવાનું જાણવા મળે છે. આ મુદ્દે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલે જણાવ્યું હતું કે, સીએમઓના આદેશ મુજબ અધિકારીઓ શહેરની મુલાકાતે આવ્યા હતા અને ચાલી રહેલા વિકાસ કાર્યોની સ્થિતિ જાણવા માટે આ તપાસ કરવામાં આવી હતી. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાન્ટના યોગ્ય ઉપયોગ અને કામોની ગુણવત્તા જાળવવા માટે આવી ચકાસણીઓ સામાન્ય પ્રક્રિયાનો ભાગ છે. નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી નવા પ્રોજેક્ટ્સ અથવા ઠરાવો શક્ય નથી, તેથી ચાલુ કામોને ઝડપથી પૂર્ણ કરવા માટે વિવિધ શાખાના અધિકારીઓ પર દબાણ વધવાની શક્યતા છે. નોંધનીય છે કે, સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત પણ આવી અચાનક તપાસો થતી રહે છે. થોડા સમય પહેલા માંડવીમાં પણ આવી ટીમ પહોંચી હતી. જોકે, ભુજની મુલાકાતે આવેલા અધિકારીઓ વિશે સ્પષ્ટ માહિતી બહાર આવી નથી, જેના કારણે આ મુલાકાત અંગે અનેક તર્કવિતર્કો ચાલી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 6:51 am

નિમણૂંક:પશ્ચિમ કચ્છને 2 ડીવાયએસપી મળ્યા એ પણ ચાર્જમાં !

સરહદી કચ્છ જિલ્લો સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનો છે, અહીં રણ, ક્રીક અને દરિયાની સરહદે પાકિસ્તાન આવેલું છે. જેથી દેશ વિરોધી પ્રવૃતિ અટકાવવા અને કાયદો - વ્યવસ્થાની સ્થિતિ જાળવવી રાખવા કાયમી અધિકારીઓની નિમણુક આવશ્યક છે. ડીવાયએસપીની કુલ સાત જગ્યાઓ ધરાવતા પશ્ચિમ કચ્છ જિલ્લામાં ત્રણ ચાર્જમાં છે, જ્યારે આંતરરાષ્ટ્રીય કેદીઓને રાખવામાં આવતા જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર (જેઆઈસી)માં હાલ કોઈ ડીવાયએસપી જ નથી ! તેવામાં બુધવારે થયેલા હુકમમાં પશ્ચિમ કચ્છના મુખ્ય મથક ભુજ અને નલિયાની વધારાની જવાબદારી ગાંધીનગર અને બોટાદના ડીવાયએસને સોપવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અલગ અલગ 35 પોલીસ અધિકારીઓને વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. જેમાં પશ્ચિમ કચ્છને બે ડીવાયએસપી આપવામાં આવ્યા છે. જિલ્લાના મુખ્ય મથક ભુજનો વધારાનો ચાર્જ ગાંધીનગર કોમ્પ્યુટર સેન્ટરના મહિલા ડીવાયએસપી વિશ્વા શાહને સોપવામાં આવ્યો છે. જ્યારે નલિયાને પ્રથમ વખત ડીવાયએસપી મળ્યા છે જોકે એ પણ ચાર્જમાં જ છે. બોટાદ એસટીએસસી સેલમાં ફરજ બજાવતા મનીષા દેસાઈને નલિયાની વધારાની જવાબદારી સોપવામાં આવી છે. જેના કારણે નખત્રાણા વિભાગના ડીવાયએસપી પરથી ભારણ ઘટ્યું છે. અગાઉ ભુજ અને હેડક્વાર્ટરના ડીવાયએસપી વય નિવૃત થયા બાદ એસટીએસસી સેલના ડીવાયએસપી પર ભારણ વધ્યું હતું. જોકે હવે ભુજ વિભાગની જવાબદારી સોંપી દેવામાં આવી છે પરંતુ હેડક્વાર્ટર વિભાગનો ચાર્જ એસટીએસસી સેલના ડીવાયએસપીને સોપેલો છે. ઉલ્લેખનીય છે કે, સરહદી પશ્ચિમ કચ્છમાં આંતરરાષ્ટ્રીય કેદીઓને રાખવા માટે જેઆઈસી કાર્યરત છે. પરંતુ લાંબા સમયથી આ જગ્યા પર કોઈ ડીવાયએસપી મુકવામાં આવ્યા નથી અને પીઆઈને હવાલે છે. હાલ જિલ્લામાં કુલ સાત ડીવાયએસપીની જગ્યામાંથી ત્રણનો વધારાનો હવાલો સોપાયેલો છે. 3 PSI સહિત 22 પોલીસકર્મીઓની આંતરિક બદલીપશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા દ્વારા પોલીસકર્મીઓની આંતરિક બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં વાયોર પોલીસ મથકના પીએસઆઈ કે.વી.ડાંગરને પદ્ધર મુકવામાં આવ્યા છે. જયારે તેમની જગ્યાએ નિરોણાના આઈ.આર.ગોહિલને વાયોર મુકવામાં આવ્યા છે. અને ભુજ બી ડીવીઝનના પીએસઆઈ કે.એચ.આહીરને નિરોણા પોલીસ મથકની જવાબદારી સોપવામાં આવી છે. આ ઉપરાંત અલગ અલગ પોલીસ મથકો અને હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા 19 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. નલિયા સીપીઆઈ અથવા પ્રાંત ઓફિસમાં ડીવાયએસપીની કચેરીનલિયા વિભાગમાં આવતા જખૌ, જખૌ મરીન, કોઠારા, વાયોર, અને નલિયા સહિતના પાંચ પોલીસ મથકો દરિયાઈ સરહદે આવેલા છે. અગાઉ સીપીઆઈ હસ્તક રહેલા પાંચ પોલીસ મથકને ડીવાયએસપી વિભાગ ફાળવવામાં આવ્યા બાદ પ્રથમ વખત નિમણૂક કરવામાં આવી છે. ત્યારે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ નલિયામાં આવેલ જૂની સીપીઆઈ કચેરી અથવા પ્રાંત કચેરી ખાતે ડીવાયએસપીની કચેરી ઉભી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દરિયાઈ વિસ્તારમાંથી અવારનવાર બિનવારસુ માદક પદાર્થનો જથ્થો તેમજ ઘુસણખોરી સહિતના બનાવો બનતા હોય છે તેવામાં આ વિસ્તાર માટે ડીવાયએસપીની નિમણૂક કરવામાં આવતા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 6:50 am

નવજીવન અપાયું:પ્રસૂતાના પેટમાં રહેલા બાળકને જટિલતા છતાં માતા અને બાળકને બચાવી લેવાયા

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના બ્લડબેંક મારફતે સ્ત્રીરોગ વિભાગમાં દાખલ હળવી સ્થિતિના થેલેસેમીયાગ્રસ્ત પ્રસૂતાને લોહી અને તેના જરૂરી પ્લેટલેટ ઘટક સમયસર પૂરા પાડી માતાનો જીવ બચાવી લીધો. બ્લડબેંક અને સ્ત્રીરોગ વિભાગે સંયુક્ત કાર્યવાહીથી બંને માતા અને બાળક આજે સુરક્ષિત છે. બ્લડબેંકના હેડ ડૉ. જીજ્ઞાબેન ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર સ્ત્રીરોગ વિભાગમાં પ્રસુતિ માટે દાખલ થયેલા માતાને માયનોર થેલેસેમીયા હતું અને તેમના શરીરમાં પ્લેટલેટ ખૂબ ઘટી ગયા હતા.તેમને લોહીની અત્યંત આવશ્યકતા ઊભી થઈ હતી.સાથે તેમનું બ્લડ ગ્રુપ પણ AB - ve હતું જેને દુર્લભ કક્ષાનું ગણવામાં આવે છે. કાઉન્સેલર દર્શન રાવલ અને સ્ટાફના પ્રયાસોથી બ્લડ બેંક દ્વારા એકજ કલાકમાં 17 રક્તદાતાનો સંપર્ક કર્યો અને રક્તદાતાઓ પણ સ્થિતિની ગંભીરતા પારખી જતાં તાત્કાલિક બ્લડબેંકમાં આવી લોહીનું દાન કરી માતાનો જીવ બચાવવા યોગદાન આપ્યું. બીજી તરફ બ્લડબેંકના તબીબોએ પણ બ્લડમાંથી જરૂરી કણો વિભાજિત કરી જરૂરી પ્રોડક્ટ પૂરા પાડ્યા. સ્ત્રીરોગ વિભાગના ડો.મહેક પિંડોરિયાએ કહ્યું કે, પ્રસૂતાબેન અત્રે આવ્યા ત્યારે પ્લેટલેટ માત્ર 14000 હતા. વળી માતાના પેટમાં જ બાળકને જટિલતા ઉત્પન્ન થઈ હતી, તેથી સ્ત્રીરોગ નિષ્ણાત ડો.ચાર્મીબેન પાવાણીની રાહબરી હેઠળ સીઝેરીયન કર્યું અને પ્રથમથી તબક્કાવાર લોહીના ઘટકો પ્રસૂતાને ચડાવ્યા. રજા આપી ત્યારે પ્લેટલેટ 110000 સુધી પહોંચી ચૂક્યા હતા અને હિમોગ્લોબિનમાં સુધારો હતો. આમ બંને વિભાગના સંયુક્ત પ્રયાસથી બેઉ માતા અને બાળકનો જીવ બચી શક્યો.ડો. જિગ્નાબેન ઉપાધ્યાયે સમયની ગંભીરતા સમજી રક્તદાન કરવા બદલ દાતાઓનો આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 6:48 am

કચ્છ કોંગ્રેસનો ચૂંટણી શંખનાદ:કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોંગ્રેસે સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ

26 એપ્રિલે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ જાહેર થઈ ગઈ છે. ચૂંટણી પંચે બપોર બાદ જાહેરાત કરી હતી. જેને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભુજ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે સોમવારે યોજાયેલી આ પ્રક્રિયામાં પ્રદેશ નિરિક્ષકો સંજય અમરાણી અને યાસીન ગજણ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ હાજર રહ્યા હતા. ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, માંડવી અને મુન્દ્રા સહિતના તાલુકા તથા શહેર મથકો પર સેન્સ લેવામાં આવ્યા હતા, જેમાં યુવા, મહિલાઓ અને અનામત બેઠકો માટે ઉમેદવારો દ્વારા પોતાની દાવેદારી નોંધાવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ભુજની પાલિકાની 44 બેઠક માટે 70 કોંગ્રેસી કાર્યકરોએ દાવેદારી નોંધાવી હતી તેમની સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે. આગામી બે દિવસ દરમિયાન સમગ્ર કચ્છના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રક્રિયા ચાલુ રહેશે. વી.કે. હુંબલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં મજબૂતીથી ઝંપલાવશે અને સક્ષમ તથા અનુભવી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે. ખેડૂતોના પ્રશ્નો, નર્મદા પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી સમસ્યા, કાયદો વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ, તેમજ ગૌચર જમીન દબાણ જેવા મહત્વના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને પક્ષ ચુંટણીઓ લડશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 6:47 am

સિટી એન્કર:દાંડીવાળા હનુમાન 477 વર્ષથી રક્ષક દેવ સ્વરૂપે બિરાજે છે

ભુજ શહેરના ભીડ ગેટ નજીક આવેલું દાંડીવાળા હનુમાન મંદિર ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતું સ્થાન માનવામાં આવે છે. આશરે 477 વર્ષ જૂનું આ મંદિર ભુજની સ્થાપના સમયગાળામાં રાજ પરિવારે નિર્માણ કરાવ્યું હોવાનું માન્યતા છે. શહેરના પૂર્વ ભાગમાં સ્થિત આ મંદિરને રક્ષક સ્વરૂપે હનુમાનજીની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરને ‘દાંડીવાળા હનુમાન’ તરીકે ઓળખાવાનું કારણ પણ રસપ્રદ છે. રાજાશાહી સમયમાં જ્યારે અહીં વસતી ઓછી હતી ત્યારે મંદિરના શિખર પર દાંડી લગાવી તેના પર ફાનસ બાંધવામાં આવતો, જેના પ્રકાશથી આસપાસનો વિસ્તાર પ્રકાશિત થતો. આ પરંપરાથી મંદિરનું નામ પ્રચલિત બન્યું હોવાનું કહેવાય છે. મંદિરની સેવા મહેન્દ્રગર ઝવેરગર ગોસ્વામી પરિવાર દ્વારા છેલ્લા ત્રણ પેઢીથી કરવામાં આવી રહી છે. ગુરુ-ચેલા પરંપરા મુજબ તેઓ હાલમાં 23મી પેઢી તરીકે સેવા બજાવી રહ્યા છે. માન્યતા મુજબ ઘનશ્યામ મહારાજે પણ અહીં પૂજા અર્ચના કરી હોવાનું કહેવાય છે. ભૂકંપ બાદ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો, જેના કારણે તેની પ્રાચીનતા સાથે આધુનિક સુવિધાઓ પણ જોડાઈ છે. દર વર્ષે હનુમાન જયંતિના પ્રસંગે અહીં વિશાળ પ્રમાણમાં ઉજવણી થાય છે. લગભગ 11 મણ એટલે કે 440 કિલો પંજૂરીનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે અને બે વખત સવા-સવા કલાક સુધી નોબત સાથે આરતી યોજાય છે. છેલ્લા 45 વર્ષથી મનુભાઈ, જે દરજી તરીકે કામ કરે છે, નોબત વગાડવાની સેવા નિભાવતા આવ્યા છે. 75 વર્ષની વયે પણ મનુભાઈ યુવા જેવી ઊર્જા સાથે સેવા આપે છે. તેઓ કહે છે કે આ શક્તિ હનુમાનજીની કૃપાથી મળે છે અને જીવનભર સેવા કરતા રહેશે. તેમની સાથે 20થી 25 સભ્યોની ટીમ પણ જોડાયેલી છે. આજે હનુમાન જયંતી નિમિત્તે સવારે 6:30 વાગે પૂજા અને ત્યારબાદ 7:30 વાગ્યે આરતી કરવામાં આવશે તેમજ સાંજે 6:30 વાગે સમૂહ હનુમાન ચાલીસા હાટકેશ્વર ગ્રુપ દ્વારા બોલાવવામાં આવશે અને રાત્રે 8:30 વાગ્યે મહા આરતીનું આયોજન કરાયું છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 6:44 am

ઉલટા ચશ્માનું સ્થાન સ્માર્ટ ચશ્મા લેશે?:સ્માર્ટ ગ્લાસની ઉપયોગીતા સામે અમુક પડકારો પણ છે

અનિલ કપૂર અને શ્રીદેવીનું મિસ્ટર ઇન્ડિયા કેટલી વખત જોયું? એમાં અનિલ કપૂર સ્માર્ટ ગ્લાસીસ એટલે કે ચશ્મા પહેરે અને તેની સ્વીચ દબાવે એટલે એ આપણી નજર સામેથી અદ્રશ્ય થઇ જાય. એ જોઇને એ જમાનામાં, એ ઉંમરમાં બહુ કુતૂહલ થતું કે એવું થાય ખરું? હવે એવી કલ્પના કરો કે એ ચશ્મા પહેરીને અનિલ કપૂર મોગેમ્બો સામે ઊભો છે. ચશ્માના કાચ જ તેને એવી માહિતી આપે છે કે સામે ઊભેલા મોગેમ્બોની હાઇટ છ ફૂટ છે, તેનું વજન નેવું કિલો છે, તેની કમર ચોત્રીસ ઇંચની છે અને તે કોઇ બીમારીથી પીડાતો લાગે છે. ફેન્ટેસી જેવી આ વાત લાગીને? આવું કંઇ શક્ય છે ખરું? પણ નજીકના ભવિષ્યમાં આનાથી પણ વધુ સગવડતા મળે એવા સ્માર્ટ ગ્લાસીસ આવશે. ક્રાઇમ ડિટેકશનથી લઇને ઇન્ટરનેટ કનેક્શન સુધીના પ્રોગ્રામ ગ્લાસીસમાં હશે. તો શું, આયર્ન મેનને એની આંખ સામે એની હેલ્મેટમાં જેવું દેખાય છે એવું આપણને દેખાશે? જી હાં, ઓગમેન્ટેડ રિયાલિટીની મદદથી હવે એવા ચશ્મા મળે છે જે એક કોમ્પ્યુટર જેવું કામ આપશે. તો ચાલો આ ઓગમેન્ટેડ રિયાલિટીવાળા ચશ્માની દુનિયામાં એક ડોકિયું કરીએ અને આ ગ્લાસીસને સ્માર્ટ ગ્લાસીસ કેમ કહે છે એ જાણીએ. હરતું ફરતું કોમ્પ્યુટરઆ ઓગમેન્ટેડ રિયાલિટી સ્માર્ટ ચશ્માને પહેરી શકાય એવા એઆર ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે અને એને નિયમિત ચશ્માની જેમ જ પહેરવામાં આવે જે વપરાશકર્તાઓ જે જુવે છે એમાં માહિતી ઉમેરી આપે છે અને માટે એને હરતું ફરતું કોમ્પ્યુટર પણ કહી શકાય. આ ઉપરાંત આ સ્માર્ટ ચશ્મા કે ગ્લાસીસ તેમના કમ્પ્યુટર આધારિત કાર્ય, સોશિયલ મીડિયા કે ગેમિંગ સોફ્ટવેરને દૂરથી એક્સેસ કરવામાં પણ મદદ કરે છે. તમે મોર્નિંગ વોક લેતા હોવ અને તમને યાદ આવ્યું કે મિટિંગ કેટલા વાગે છે એ જોવાની તો રહી ગઇ અને ત્યાં તમારા આ સ્માર્ટ ચશ્મા કામમાં આવશે. એની મદદથી તમે તમારું કમ્પ્યુટર એક્સેસ કરી શકશો અને જોઇ શકશો કે મિટિંગ કેટલા વાગે છે. મોર્નિંગ વોક લેતા હો અને સામે દૂરથી પેલા પંચાતિયા માસી દેખાય તો ચશ્મા તમને એલર્ટ પણ આપી શકે અને તમે યુ-ટર્ન લઇ લો. તમે જે જગ્યાએ વાસ્તવમાં છો તે જગ્યાએ તમારા સોશિયલ મીડિયા ફ્રેન્ડ લિસ્ટમાં હોય એવું કોઇ છે? એ માહિતી પણ ચશ્મા આપી શકે. હવે જોઇએ કે આ સ્માર્ટ ગ્લાસીસ કામ કેવી રીતે કરે છે. આ એઆર ગ્લાસીસ એક પારદર્શક ડિવાઇસ છે જે પહેરનાર વ્યૂ પોઇન્ટ હોય એની લિમિટમાં એઆર કન્ટેન્ટ પેદા કરે છે જે એમને જે જોઇ શકે છે એમાં માહિતી ઉમેરવામાં મદદ કરે છે. સાદી રીતે કહીએ તો તે વાયરલેસ કનેક્ટિવિટી અને ઇમેજિસ જે આપણે ઘરના કોમ્પ્યુટર કે સેલફોન પર માણીએ છીએ તે આપણા ચશ્માના ફ્રેમ્સ અને લેન્સમાં લાવવાનો પ્રયત્ન છે. આપણે બધા જે કી-બોર્ડ અને માઉસનો ઉપયોગ કરીએ છીએ તેના બદલે ચશ્માની ફ્રેમમાં બનેલા કન્ટ્રોલ્સને ટીંગ કરીને કે સ્વાઇપ કરીને કે ટેપિંગ કરીને એલેક્સા કે સીરીની જેમ આપણી વિનંતીને શાબ્દિક બનાવીને તેના ડિસ્પ્લેને દિશામાન કરીને સ્માર્ટ ચશ્માંને નિયંત્રિત કરી શકાય છે. ફક્ત ડિવાઇસ અને ગેજેટ્સને એકબીજા સાથે કનેક્ટ કરવાના છે. સીન્ક્રોનાઇઝેશન ઇઝ ધ ફ્યૂચર. ગૂગલનું આઇ વ્યૂઅર્સ ફેલ થયુંસ્માર્ટ વોચ અને અન્ય વેરેબલ વાયરલેસ ડિવાઇસેસની લોકપ્રિયતા વધારવાની આશા સાથે ગૂગલે સૌ પ્રથમ 2013 માં ગૂગલ ગ્લાસ એક્સપ્લોરરની રજૂઆત સાથે આઇ વ્યૂઅર્સની શરૂઆત કરી હતી. દુર્ભાગ્યવશ એક્સપ્લોરર મોટાભાગના માટે ખૂબ અસ્પષ્ટ અને ખર્ચાળ ($ 1,500) સાબિત થયું. ગૂગલને 18 મહિના પછી બજારમાંથી તેને પાછું લઇ લેવું પડ્યું. અત્યારે વેવ ઓપ્ટિક્સ, એપ્રેન્ટિસ આઇઓ, વુઝિક્સ, મી.સ્પેક્સ જેવી કંપનીઝ સ્માર્ટ ગ્લાસીસ બનાવે છે. સ્માર્ટ ગ્લાસના ઉપયોગ સામે પડકારો પણ છેઆ સ્માર્ટ ગ્લાસની ઉપયોગીતા સામે અમુક પડકારો પણ છે જેમ કે લોકોએ આ ચશ્માને કેવી રીતે વાપરવા એ જ ફક્ત શીખવાનું નહીં રહે પણ અચાનક આંખ સામે આવતા વાયરલેસ ડેટા, ઇમેજિંગથી કેવી રીતે અનુકૂલન સાધવું એ પણ શીખવું પડશે. આની સામે સ્માર્ટ ચશ્માનો ઉપયોગ વિવિધ માહિતી અને ડેટાની એક્સેસ કરવાની ક્ષમતાને વધારે છે અને જે તમારી કાર્યક્ષમતામાં વધારો કરે છે અને તમે સ્માર્ટલી કામ કરી શકો છો. હવે તમે જ નક્કી કરો કે આ સ્માર્ટ ચશ્મા ફાવી શકે એટલા તમે સ્માર્ટ છો કે આ ચશ્મા જ તમને સ્માર્ટ બનાવી દેશે?

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 6:35 am

વડોદરા જિલ્લા પંચાયત-પાલિકામાં દાવેદારોનો ભારે ધસારો:કેતન ઈનામદારના ભાઈની ગોઠડા બેઠક માટે દાવેદારી, માજી સભ્યોએ પણ ટિકિટ માગી

વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણી 26 એપ્રિલે યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે વડોદરા જિલ્લા ભાજપ દ્વારા વંદે કમલમ અને કરજણ એપીએમસી ખાતે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. બે જૂથમાં કરાયેલી આ સેન્સ પ્રક્રિયામાં સાવલી નગર-તાલુકો, ડેસર તાલુકો, ડભોઈ નગર- તાલુકો અને શિનોરની બેઠકો માટે અંદાજે 300થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. કેતન ઈનામદારે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે, ત્યારે તેમના ભાઇ સંદીપ ઇનામદારે ગોઠડા બેઠક માટે દાવેદારી કરી હતી. નિરીક્ષક તરીકે પૂર્વ શહેર પ્રમુખ નીતિન ઠાકર, પ્રદેશ કારોબારી સભ્ય અમિતાબેન પટેલ અને તાપીના પૂર્વ જિલ્લા મહામંત્રી વિક્રમ તરસાડિયા સવારે 9 કલાકે વંદે કમલમ ખાતે પહોંચ્યાં હતાં. જિલ્લા ભાજપના કાર્યાલયમાં સવારે 9 વાગે સાવલી નગર પાલિકાના દાવેદારોને સાંભળ્યા હતા. જે બાદ સવારે 11 વાગે ડેસર તાલુકા અને બપોરે 2:30 વાગે સાવલી તાલુકા પંચાયતની બેઠકો માટે દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. વંદે કમલમ ખાતે મોટી સંખ્યામાં દાવેદારો બાયોડેટા લઈને પહોંચ્યા હતા. જ્યારે રાતે 9 વાગ્યા બાદ પણ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા કરાઈ હતી. ઉપરાંત જૂથ 2માં કરજણ એપીએમસી ખાતે ડભોઈ નગર, ડભોઈ તાલુકો અને શિનોરની બેઠકો માટે દાવેદારોએ દાવેદારી નોંધાવવા માટે પ્રક્રિયા હાથ ધરી હતી. ઉમેદવારો સ્થળ પર જ પોતાનાં ફોર્મ ભરતા નજરે ચઢ્યાં હતાં. રાતે 9 વાગ્યા સુધી 520 જેટલા લોકોએ દાવેદારી નોંધાવી ભાસ્કર ઇનસાઇડભાદરવા બેઠકની 1 સીટ માટે સૌથી વધુ 17 દાવેદારો જિ.પં.ની સાવલીની 5 બેઠક પૈકી 1 ભાદરવાની બેઠક છે. ભાદરવામાંથી જિલ્લા પંચાયતનાં પ્રમુખ તરીકે ગાયત્રીબા મહિડા ચાલુ ટર્મમાં હતાં. ચૂંટણીમાં પૂર્વપ્રમુખના પતિ મૂળરાજસિંહ મહિડાએ દાવેદારી નોંધાવી છે. ઉપરાંત ભાદરવા સીટ પરથી કેતન ઈનામદારના ખાસ આકાશ પટેલ, નગર પાલિકા ઉપપ્રમુખ અને ધારાસભ્યના ખાસ ચેતન દવે, પૂર્વ સરપંચ અશોક ગામેચી, સરપંચ પતિ મહિપતસિંહ રાણા સહિત 17 દાવેદાર નોંધાયા છે. જિલ્લા પંચાયતોના માજી સભ્યોએ પણ ટિકિટ માગી ઉમેદવારી કરનાર 3 વર્ષથી સક્રિય સભ્ય હોવો જરૂરીદરેક ઉમેદવારને સાંભળ્યા છે. દાવેદારી કરનાર 3 વર્ષથી સક્રિય સભ્ય હોવો જોઈએ. જે ઠેકાણેથી ટિકિટ માગે છે ત્યાં સક્રિય સભ્ય હોવો જરૂરી છે. પક્ષે વયમર્યાદા 60 વર્ષની નક્કી કરી છે. - વિક્રમ તરસાડિયા, પૂર્વ જિલ્લા મહામંત્રી, તાપી સંદીપ ઇનામદારે ગોઠડા બેઠક માટે ટિકિટ માગીધારાસભ્ય કેતન ઈનામદારના ભાઈ સંદીપ ઈનામદારે જિલ્લા પંચાયતની ગોઠડા બેઠક પરથી દાવેદારી નોંધાવી હતી. નોંધનીય છે કે, કેતન ઈનામદારે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે ત્યારે તેમના ભાઈએ ફોર્મ ભર્યું છે. દાવેદાર મહિલાએ વંદે કમલમમાં બાળકને ઘોડિયામાં સૂવડાવ્યું જિલ્લા ભાજપ કાર્યાલય વંદે કમલમ ખાતે સવારે 10 વાગ્યાથી સાવલી નગર અને ડેસર તાલુકા માટે દાવેદારી નોંધાવવા મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. દાવેદારોની ભીડ વચ્ચે મહિલા બાળકને પણ સાથે લાવી હતી. જેને વંદે કમલમના હોલમાં જ ઘોડિયામાં સૂવડાવતી નજરે ચઢી હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 6:21 am

મંગળબજારમાં ચોરી કરતાં ચોરોને સ્થાનિકોએ દબોચ્યા:ડુપ્લિકેટ ચાવીથી દુકાનનું તાળું ખોલીને ચોરીનો પ્રયાસ કરતા બે તસ્કર પકડાયા

મંગળબજારમાં આવેલી એક કાપડની દુકાનમાં ડુપ્લિકેટ ચાવી વડે પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયાસ કરતા બે અજાણ્યા ઇસમોને સ્થાનિકોએ છત પરથી ઝડપી પોલીસને હવાલે કર્યા છે. મંગળબજારમાં ‘સૂર્યા ફેશન’ નામની કાપડની દુકાન ધરાવતા દિપક બેલાણીએ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આ ઘટના 31 માર્ચના રોજ રાત્રિના સમયે બની હતી. ફરિયાદી રાત્રે 9:15 વાગ્યે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. ત્યારબાદ રાત્રિના આશરે 10:30 વાગ્યે પાડોશમાં રહેતા મિત્ર પિયુષ પટેલે ફોન કરીને જાણ કરી હતી કે દુકાનની અંદરથી અવાજ આવે છે. શંકા જતાં ફરિયાદીએ અન્ય એક મિત્ર મિતેશભાઈ ખત્રીને તપાસ કરવા મોકલ્યા હતા. મિતેશભાઈએ જોયું તો દુકાન પાસે એક રિક્ષા ઉભી હતી અને અંદરથી અવાજ આવતો હતો. તેમણે તુરંત બહારથી દરવાજો બંધ કરી બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. તસ્કરોએ પકડાઈ જવાની બીકે દુકાનની બાજુમાં આવેલા ઘરની છત પર કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતર્ક રહીશોએ બંનેને ઝડપી લીધા હતા. બંનેને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. સિટી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, તસ્કરોએ દુકાનના મુખ્ય દરવાજાના તાળાની ડુપ્લિકેટ ચાવી બનાવીને અંદર પ્રવેશ કર્યો હતો. દોઢ માસ પૂર્વે નોકરી ગઈ હતી નકલી ચાવીથી તાળું ખોલ્યુંઈસ્માઈલ દિવાન ફરિયાદીની દુકાનમાં નોકરી કરતો હતો. જ્યારે દોઢ મહિના પહેલા તેને નોકરી પરથી છૂટો કર્યો હતો. જ્યારે આરોપી પાસે દુકાનની ડુપ્લિકેટ ચાવી હતી. જેના આધારે તેને આ ચોરી કરવાનો ઈરાદો કર્યો હતો. > કે.ડી.માંગરોલીયા,પીઆઈ,સીટી પોલીસ મથક

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 6:16 am

નંદેસરી દારૂ કેસ:ફરાર આરોપી તાલુકા પંચાયતના ભાજપના સભ્યનો પિતરાઈ હોવાનો ઘટસ્ફોટ

નંદેસરીના રઢીયાપુરામાં એસએમસીએ દરોડો પાડ્યો હતો. જેમાં ફરાર આરોપીનું રાજકીય કનેક્શન બહાર આવ્યું છે.આરોપી ભાજપના તાલુકા પંચાયત સભ્યનો પિતરાઈ ભાઈ છે, જેને લઈ જિલ્લા ભાજપમાં હલચલ મચી છે. નંદેસરીના રઢિયાપુરા ગામે દરોડો પાડ્યો હતો.જેમાં 46 લાખથી વધુના દારૂ સાથે લિસ્ટેડ બૂટલેગર મનોજ ઉર્ફે પાપડ સહિત 6ની ધરપકડ કરી હતી. જ્યારે મોટા બૂટલેગરો સુનિલ અદો,લાલુ સિંધી સહિત 10ને ફરાર જાહેર કર્યા હતા. આ 10 વોન્ટેડની યાદીમાં ગૌતમ પઢિયારનું નામ સૌથી ચર્ચાનો વિષય બન્યો છે. દારૂનું કટિંગ જ્યાં ચાલતું હતું એ જગ્યાનો માલિક ગૌતમ પઢિયાર હોવાથી એને આ મામલામાં વોન્ટેડ જાહેર કરાયો છે. ફરાર આરોપી નંદેસરી બેઠક ઉપરથી ભાજપના ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્ય જશવંતસિંહ પઢિયાર ઉર્ફે પિન્ટુના કાકાનો દીકરો હોવાનું બહાર આવ્યું છે. મારો પિતરાઈ ભાઈ છેફરાર આરોપી ગૌતમ મારો પિતરાઈ ભાઈ છે.હું નંદેસરી બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યો હતો અને જીત્યો હતો.મારા પિતા પણ અગાઉ સરપંચ રહી ચૂક્યા છે.જોકે કાકાનો દીકરો ગૌતમની આ પ્રવુતિ અંગે મને કોઈ જાણકારી નથી.મારે દારૂના ધંધા સાથે કોઈ લેવા દેવા નથી. >જસવંતસિંહ ઉર્ફે પિન્ટુ પઢિયાર

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 6:11 am

રમેશનગરમાંથી દારૂનો જથ્થો પકડાયો:ઈમરાન દરબાર અને ખાલિદનું વિદેશી દારૂનું વેરહાઉસ પકડાયું, 13.08 લાખનો દારૂ જપ્ત

ગોરવા-કરોડિયા કેનાલ રોડ રમેશનગરમાં ધમધમતા ઈમરાન દરબાર અને ખાલિદના દારૂના વેરહાઉસને એલસીબી ઝોન-1ની ટીમે પકડી પાડ્યું હતું. પોલીસે વેરહાઉસમાંથી 13.08 લાખનો દારૂનો જથ્થો પકડી પાડી જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. ભાસ્કરે જે દારૂના વેરહાઉસનો પર્દાફાશ કર્યો હતો, તે સ્થળેથી એલસીબી ઝોન-1ની ટીમે દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. એલસીબી ઝોન-1 ટીમના પીએસઆઈ મેહુલ ભરવાડે કહ્યું હતું કે અમારી ટીમને બાતમી મળી હતી કે, ગોરવા-કરોડિયા કેનાલ રોડ રમેશનગર પાસે ઈમરાન દરબાર બહારથી વિદેશી દારૂનો જથ્થો લાવી રૂમોમાં મૂકી રાખ્યો છે. જેના આધારે ટીમે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી પોલીસને 2143 નંગ વિદેશી દારૂની બોટલ રૂ.13.08 લાખ મળી આવી હતી. જ્યારે બૂટલેગર ખાલીદ કાસમ શેખ અને મો.યુનુસ ઝાકીર હુસેન(બંને રહે, રમેશનગર, ગોરવા-કરોડિયા કેનાલ રોડ)ને પકડ્યા હતા. આ દારૂના કેસમાં ઈમરાન દરબાર અને અરવિંદ ચડ્ડો વોન્ટેડ જાહેર કરાયો હતો. જવાહરનગર પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ બેથી વધુ વાર પોલીસે ખાલીદનું ગોડાઉન પકડી પાડ્યું હતું. જોકે તે જેલમાંથી બહાર આવીને ફરી દારૂનો ધંધો શરૂ કરી દેતો હોવાનું સૂત્રોએ કહ્યું હતું. દારૂના વેરહાઉસનો પર્દાફાશ કર્યો, તેમ છતાં પોલીસને ફક્ત 7 ક્વાટર જ મળ્યા હતાઅગાઉ ડિસેમ્બર મહિનામાં ભાસ્કર દ્વારા ઈમરાન દરબાર અને ખાલીદના વિદેશી દારૂના વેરહાઉસનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જવાહરનગર પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. જોકે તે સમયે જવાહરનગર પોલીસને ખાલીદને ફક્ત 7 દારૂના ક્વાટર સાથે પકડ્યો હતો. જેમાં ઈમરાન દરબારઅને તેના કોઈ સાગરિતને પકડવામાં આવ્યો નહોતો. બૂટલેગરોએ ત્યાર બાદ પણ દારૂનો ધંધો ચાલુ રાખ્યો હતો. ખાસ એઆર લખેલી ટ્રાવેલ બેગમાં ટ્રેનો મારફતે દારૂનો જથ્થો મોકલાયોવાપીના દારૂના સપ્લાયર અરવિંદ ચડ્ડો લાંબા ટ્રેન મારફતે ખાસ એઆર લખેલી ટ્રાવેલ બેગમાં દારૂ મોકલાવી રહ્યો છે. ત્યારે ઈમરાન દરબાર અને ખાલીદને પણ અરવિંદે ખાસ ટ્રાવેલ બેગ મારફતે દારૂ મોકલાવ્યો હતો. રિયાઝ વડોદરાની સિન્ડિકેટનું સંચાલન કરતો હતો. અગાઉની રિયાઝની ધરપકડ થઈ હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 6:10 am

વર્કશોપથી નિવૃત્તિની એકલતાને સર્જનાત્મકતામાં બદલવાનો પ્રયાસ:વડીલો એકલતાના ટાપુથી સામાજિક જોડાણ સુધીની ‘જીવન રંગમંચ’થી અભિવ્યક્તિ શીખ્યા

કહેવાય છે કે કલાને કોઈ ઉંમર હોતી નથી અને જ્યારે ઉત્સાહ થનગનતો હોય ત્યારે ઉંમર માત્ર એક આંકડો બનીને રહી જાય છે. આ વાતને સાર્થક કરી બતાવી નાટ્ય સંસ્થા ‘ત્રિવેણી’ અને ‘યોગનિકેતન’ દ્વારા થિયેટર વર્કશોપ ‘જીવન રંગમંચ’ યોજાયો હતો. આ કાર્યશાળામાં 50વર્ષથી લઈને 88 વર્ષ સુધીના વડીલોએ ભાગ લીધો હતો. ઝડપી યુગમાં જ્યારે પેઢીઓ વચ્ચેનું અંતર વધી રહ્યું છે ત્યારે વડીલો ઘણીવાર એક પ્રકારની એકલતા અનુભવતા હોય છે. તેમની પાસે કહેવા માટે અનુભવોનું ભાથું હોય છે પણ સાંભળનાર કે મંચની ખોટ વર્તાય છે. વડીલોને પોતાની ઓળખ ફરીથી શોધવાની તક આપવી જાણે કે અભિવ્યક્તિના સૂર્યોદય સાથે એકલતાને તિલાંજલિ આપે તે હેતુથી વર્કશોપ યોજાયો હતો. ‘તમારી ઉંમર ગમે તે હોય સર્જનાત્મકતાને ફરી શોધવા માટે ક્યારેય મોડું થતું ન’ એ સૂત્રને વળગીને 30 નિવૃત્ત અધિકારીઓ, તબીબો, શિક્ષકોથી લઈને ગૃહિણીઓ અને લેખકોએ ભાગ લીધો હતો. રંગમંચ પર ઉંમર ભૂંસાઈ જાય છે, ત્યાં માત્ર પાત્ર જીવંત હોય છેરંગમંચ પર દરેક પ્રકારના કલાકારની જરૂર હોય છે. અહીં કોઈ સાચું કે ખોટું નથી હોતું. વડીલોના જીવનનો અનુભવ અભિનયમાં પ્રાણ ફૂંકે છે. અમારો પ્રયાસ હતો કે તેઓ પોતાની છુપાયેલી કલાને બહાર આવવા દે. વડીલો પાસે જીવનનો જે ખજાનો છે, તે મંચ પર જ્યારે સંવાદ બનીને બહાર આવે છે, ત્યારે સાચું નાટક જન્મે છે. અહીં ઉંમરની મર્યાદા નથી, પણ અનુભવની સમૃદ્ધિ છે. રંગમંચ પર ઉંમર ભૂંસાઈ જાય છે. ત્યાં માત્ર પાત્ર જીવંત હોય છે. તેમ દિગ્દર્શક પી. એસ. ચારીએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 6:08 am

100થી આર્ટવર્ક ડિસ્પ્લે કરાયા:ફાઇન આર્ટ્સમાં ધરોહરનાં રિયાલિસ્ટિક ચિત્રો અનેરોમન શંખ સાથે અર્ધ સ્ત્રીનું ‘લ્યુમિને’ શિલ્પ બનાવ્યું

મ.સ.યુનિ.ની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સના સ્કલ્પ્ચર વિભાગના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ બનાવેલા સ્કલ્પચરનું પ્રદર્શન ફેકલ્ટીના પ્રદર્શન હૉલ ખાતે યોજવામાં આવ્યું છે. જેમાં 16 વિદ્યાથીઓએ આર્ટવર્ક બનાવ્યા હતા. તેમજ તે સાથે એપ્લાઇટ આર્ટના 100થી વધારે વિદ્યાર્થીઓના આર્ટવર્ક ડિસ્પ્લે કરવામાં આવ્યા હતા. પ્રદર્શન દરમિયાન વિવિધ પ્રકારના મટિરિયલ્સ જેમ કે, માટી, મેટલ, લાકડું, ગ્લાસ સહિતના વિવિધ માધ્યમોમાં બનાવવામાં આવેલા સ્કલ્પચર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. દરેક શિલ્પ પાછળ કોઈને કોઈ વિચારધારા, સામાજિક મેસેજ અથવા વ્યક્તિગત અભિવ્યક્તિ સ્પષ્ટ રીતે દેખાતી હતી. જ્યારે એપ્લાઇડ આર્ટ્સના વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન કરેલા પર્સ્પેક્ટિવ સ્ટડીના હેરિટેજના સ્કેચ લગાવ્યા હતા. તેમજ માનવી અને પ્રાણીના કોમ્બિનેશનના મિની ક્રિએચર બનાવ્યા હતા. રોમન સ્નેલમાંથી પ્રેરણા લઇ ‘લ્યુમિને’ની શંખાકાર રચના બનાવી‘લ્યુમિને’ નામની કલ્પિત દેવીથી વિદ્યાર્થીએ દર્શાવ્યું કે લ્યુમિને ચંદ્ર અને ધરતીની સંતાન છે, જેને દેવતાઓએ માનવજાત માટે જ્ઞાનને સંભાળવા માટે સર્જી છે. ચિત્રમાં લ્યુમિનેનો અડધો માનવી અને અડધો શંખ જેવી રચના ધરાવતો આકાર દેખાય છે. લ્યુમિનેનો શંખ સ્પાયરલ આકારમાં છે, જે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને જોડે છે. વિદ્યાર્થીએ ઓક્ટોપસ અને રોમન સ્નેલમાંથી પ્રેરણા લઈને આ પાત્ર રચ્યું હતું. સ્ટુડન્ટ્સે કલ્પનાશક્તિથી બનાવેલા અનોખા આર્ટવર્ક

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 6:07 am

ગુજરાતમાં આજથી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદના એંઘાણ:કચ્છ, સાબરકાંઠા સહિત 10 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી, 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્ય તરફ હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટર્ફ સક્રિય થતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહીઆજે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમન, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશેઆંધી તોફાન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વીજળી પડવાની શક્યાઓ છે. આગામી 2થી 3 ડિગ્રી ટેમ્પ્રેચર ઘટશે. સૌથી વધારે વિદ્યાનગર માં 37.1 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદ 36.7 ડિગ્રી ટેપમ્પટેચર નોંધાયું.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 6:05 am

બોર્ડ બાદ હવે શાળાકીય પરીક્ષાનો વારો:1500 સ્કૂલમાં 6 એપ્રિલથી ધો.1થી 11ના અઢી લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે

બોર્ડની પરીક્ષાઓ પૂરી થઇ ચૂકી છે. હવે શાળાકીય પરીક્ષાઓની શરૂઆત થશે. ગુજરાત બોર્ડ સંચાલિત શાળાઓમાં 6 એપ્રિલથી પ્રાથમિક-માધ્યમિક વિભાગોમાં વાર્ષિક પરીક્ષાઓની શરૂઆત થનાર છે. શહેર-જિલ્લાની 1500 સ્કૂલોમાં 2.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 18 એપ્રિલથી વિદ્યાર્થીઓનું ઉનાળું વેકેશન શરૂ થશે. શિક્ષણ બોર્ડ સંચાલિત ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં 6 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ધો 1થી 11ની પરીક્ષા યોજાશે. શહેર-જિલ્લાની 1100 કરતાં વધારે સરકારી પ્રાથમિક શાળાઓમાં પણ પરીક્ષા યોજાશે. સરકારી સહિત ગ્રાન્ટેડ, ખાનગી સ્કૂલોમાં પરીક્ષાનો માહોલ છવાશે. એપ્રિલની કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે. અગાઉ 22 એપ્રિલના સુધી પરીક્ષા ચાલવાની હતી જોકે પાછળથી ટાઇમ ટેબલ બદલવામાં આવ્યું હતું. પરીક્ષા પૂર્ણ થયાના બીજા જ દિવસથી એટલે કે 18 એપ્રિલથી શાળાઓમાં ઉનાળુ વેકેશન વિદ્યાર્થીઓ માટે રહેશે. લાંબા સમય બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓ વેકેશનના મૂડમાં જોવા મળશે. શિક્ષકોને 1 મેથી વેકેશન પડશે. બીજી તરફ ખાનગી શાળાઓમાં પણ બોર્ડના નિયમો અનુસાર જ પરીક્ષાનું સંચાલન કરવામાં આવશે. હાલમાં શાળાઓમાં પેપર સેટિંગ અને બેઠક વ્યવસ્થાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ધો.3 અને 4ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે. ધો.5થી 8ના વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં ઉત્તરો લખવાના રહેશે. ગરમીમાં પરીક્ષા આપતાં બાળકોનું ધ્યાન કેવી રીતે રાખશો

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 6:00 am

દારૂના દૂષણે 100થી યુવાનોના જીવ લીધા:નાગસેન નગરમાં ગલીએ ગલીએ ગંદકીને ઘરે ઘરે માતમ, નેતાઓ સામે જનતાનો આક્રોશ:'આ વખતે વોટ નહીં મળે!'

સુરત આગામી સમયમાં સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગવા જઈ રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ સુરતના વોર્ડ નંબર 28 પાંડેસરા-ભેસ્તાનમાં આવેલા નાગસેન નગરના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને સ્થિતિનો તાગ મેળવ્યો ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી.નાગસેન નગરમાં માત્ર ગટર અને ગંદકીનો જ નરક નથી, પણ દારૂના દૂષણે આખા વિસ્તારને સ્મશાનમાં ફેરવી દીધું છે. નાગસેન નગરમાં ગલીએ ગલીએ ગંદકીને ઘરે ઘરે માતમ જોવા મળ્યો હતો. નેતાઓ સામે જનતાનો આક્રોશ જોવા મળ્યો હતોને કહ્યું,'આ વખતે વોટ નહીં મળે!'. સ્થાનિક ઉષાબેને કહ્યું કે, મારી નજર સામે આ વિસ્તારના કપિલ, પિન્ટુ, સુનીલ અને દાદા મોરે જેવા 100થી વધુ યુવાનો દારૂ પીને મરી ગયા છે. ચોકી પાછળ જ દારૂની પોટલીઓનું સામ્રાજ્ય: ખાખીનો ખોફ ક્યાં ગયો?નાગસેન નગરમાં પ્રવેશતાની સાથે જ વિકાસના દાવાઓની પોલ ખુલી જાય છે. જે પોલીસ ચોકી પર વિસ્તારની સુરક્ષાની જવાબદારી છે, ત્યાં તાળા લટકેલા જોવા મળ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે આ ચોકીની બિલકુલ પાછળ આવેલા ખંડેર જેવી જગ્યામાં દારૂની ખાલી પોટલીઓનો ઢગલો જોવા મળ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને પીવાય છે. કાયદો અને વ્યવસ્થા જાણે આ વિસ્તારમાં દમ તોડી ચૂકી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. દારૂના દૂષણે 100થી નવયુવાનોના જીવ લીધાઆ વિસ્તારની સૌથી ભયાનક વાસ્તવિકતા એ છે કે અહીંના યુવાનો દારૂના રવાડે ચઢીને અકાળે મોતે મરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયમાં 21થી 25 વર્ષની વયના અનેક યુવાનોના લિવર અને કિડની ફેઈલ થવાને કારણે મોત નીપજ્યા છે. ગંદકી અને ઉભરાતી ગટરોમાં જીવવા મજબૂર સ્થાનિકોનાગસેન નગરની ગલીઓમાં પગ મૂકવો પણ મુશ્કેલ છે. ગટરના પાણી રસ્તા પર વહે છે અને પીવાના પાણીમાં પણ લાલ કીડા નીકળી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. ચોમાસું હોય કે ઉનાળો, અહીં ગંદકીનું સામ્રાજ્ય બારેમાસ રહે છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. 'વોટ લેવા આવે ત્યારે મધ જેવી વાતો કરે છે'સ્થાનિક રહેવાસી દ્વારકાબેને કહ્યું કે, ત્રણ દિવસથી કુંડીઓ ઉભરાય છે, સંડાસના પાણી રસ્તા પર આવે છે. આટલી વાસમાં અમે કેમ ના રહીએ? રસ્તો ચાલવા જેવો નથી. જ્યારે વોટ લેવા આવે ત્યારે મધ જેવી વાતો કરે છે, પણ પછી કોઈ દેખાતું નથી. કોરોના કાળમાં પણ કોર્પોરેટરો લાપતા: જનતાનો આક્ષેપસ્થાનિક મહિલાઓએ ભારે રોષ સાથે જણાવ્યું કે, જ્યારે દેશ કોરોના જેવી મહામારી સામે લડી રહ્યો હતો અને ગરીબ જનતા પાસે ખાવાના અનાજ નહોતા, ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોઢું બતાવવા પણ આવ્યા નહોતા. લોકડાઉનમાં સહાયના નામે શૂન્ય કામગીરી થઈ હોવાના ગંભીર આક્ષેપો થયા છે. 'અમે કોઈને વોટ આપવાના નથી'સ્થાનિક મેભીબાઈ સિરસતે કહ્યુ કે, લોકડાઉનમાં અમને ખાવા નહોતું મળતું, કેટલા ખરાબ દિવસો કાઢ્યા છે. અનાજ આવતું તો પણ પાછું મોકલી દેવાતું હતું. કોઈ કોર્પોરેટર હાલચાલ પૂછવા નહોતું આવ્યું. હવે કયા મોઢે વોટ માંગવા આવશે? અમે કોઈને વોટ આપવાના નથી. કોર્પોરેટરની દુકાન આ જ વિસ્તારમાં, પણ રહે છે બીજે!વોર્ડ નંબર 28ના પૂર્વ કોર્પોરેટર રાજ કવર રાઠોડની એક દુકાન આ વિસ્તારમાં છે. સ્થાનિકોનું કહેવું છે કે આ દુકાન માત્ર ચૂંટણી જીતવા અને સંપર્ક રાખવા પૂરતી છે, બાકી કોર્પોરેટર પોતે સુરક્ષિત સોસાયટીઓમાં રહે છે અને નાગસેન નગરની ગંદકી સામે જોતા પણ નથી. જ્યારે તેમના પુત્ર સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે બચાવ કરતા કહ્યું કે, SMC બરાબર કામ કરે છે, પણ લોકો જ ગંદકી કરે છે. 'લોકો જ ગંદકી કરે છે અને કચરો ફેંકે'પૂર્વ કોર્પોરેટરના પુત્રએ કહ્યું કે, અમે અહીં 22 વર્ષથી રહીએ છીએ અને આ વિસ્તારમાં ઘણું સારું કામ થયું છે, રોડ પણ બન્યા છે. SMC (સુરત મહાનગરપાલિકા)ના માણસો નિયમિત આવે છે અને બધું સાફ કરીને જાય છે. પેઢીઓ બદલાઈ પણ નાગસેન નગર ના બદલાયું?દાયકાઓથી અહીં રહેતા વૃદ્ધોની આંખોમાં આશા હવે રોષમાં ફેરવાઈ ગઈ છે. 40-40 વર્ષથી રહેતા લોકોનું કહેવું છે કે પેઢીઓ બદલાઈ ગઈ પણ નાગસેન નગરની કિસ્મત બદલાઈ નથી. 'નો વોટ' ની ચીમકી: જનતા હવે જાગૃત થઈ!આગામી ચૂંટણીમાં નાગસેન નગરના રહીશોએ મક્કમ નિર્ધાર કર્યો છે કે જો સમસ્યાનું સમાધાન નહીં થાય તો તેઓ મતદાનનો બહિષ્કાર કરશે અથવા વર્તમાન પ્રતિનિધિઓને જાકારો આપશે. કમલબેન નથ્થુંએ કહ્યું કે, બે મહિના પહેલા મારો છોકરો ગુજરી ગયો, કોઈ પૂછવા ન આવ્યું. દારૂ હજુ પણ વેચાય છે. જે અમારી વ્યવસ્થા કરે તેને જ મત અપાય ને? હવે અમે કોઈને મત આપવાના નથી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 6:00 am

અમદાવાદ મનપાના 48 વોર્ડ માટે આજથી ભાજપની સેન્સ પ્રક્રિયા:છ સ્થળો પર 24 વોર્ડના દાવેદારોને સાંભળશે, 12 નિરીક્ષકોને જવાબદારી સોંપાઈ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે, ત્યારે ભાજપ દ્વારા પહેલાથી જ ઉમેદવારોને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે. આજે 2 એપ્રિલના રોજ રાજ્યની સૌથી મોટી અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારો માટેની સેન્સ પ્રક્રિયા લેવામાં આવશે. ગુજરાત ભાજપ દ્વારા કુલ 21 જેટલા નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારો માટે કુલ સાત જેટલા સ્થળો ઉપર બે દિવસ ઉમેદવારી કરવા માંગતા તમામ કાર્યકર્તાઓ-નેતાઓને સાંભળવામાં આવશે. પૂર્વ કોર્પોરેટરોથી લઈને વોર્ડ પ્રમુખો સહિતના લોકો દાવેદારી નોંધાવશેઆજે 2 એપ્રિલના રોજ જોધપુર, ચાંદખેડા, દરીયાપુર, નરોડા, અમરાઈવાડી-ઇન્દ્રપુરી, ભાઈપુરા-હાટકેશ્વર સહિતના 24 વોર્ડમાં ઉમેદવારી નોંધાવા માંગતા કાર્યકર્તાઓની પ્રક્રિયા લેવામાં આવશે. આજે સેન્સ પ્રક્રિયામાં પૂર્વ કોર્પોરેટરોથી લઈને વોર્ડ પ્રમુખો, ઉપ-પ્રમુખો તેમજ પૂર્વ હોદ્દેદારો પણ દાવેદારી નોંધાવશે. બે દિવસ સુધી સેન્સ પ્રક્રિયા યોજાવાની છે, ત્યારે ઉમેદવારી નોંધાવવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચશે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 6:00 am

'ગંદકીના કારણે આ વિસ્તારના દીકરા-દીકરીઓના સગપણ થતા નથી':ભાજપ અહીં દર ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારના બદલે 'પાયલોટ' ઉતારે છે, ડમ્પીંગ યાર્ડ માથાનો દુઃખાવો બન્યો

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 5માં શું સ્થતિ છે. આ વિસ્તારમાં કેવો વિકાસ થયો છે. સ્થાનિક કોર્પોરેટર અહીંયા આવે છે કે કેમ. લોકોની શું સમસ્યાઓ છે. લોકોની શું માંગ છે તે તમામ સવાલોના જવાબો માટે દિવ્ય ભાસ્કર પોહચ્યું હતું ઈલેક્શન વોર્ડ નંબર 5નો ચિતાર મેળવવા માટે. રાજા રાણી તળાવ આસપાસ દબાણ, વૈકલ્પિક વ્યવસ્થાનો અભાવ પ્રથમ અમે વોર્ડ 5ના સૌથી જાણીતો અને સંવેદનશીલ ગણાતા પાણીગેટ વિસ્તારમાં અમે પોહચ્યા હતા. ઐતિહાસિક પાણીગેટ દરવાજાથી આ વિસ્તાર પાણીગેટ તરીકે જાણીતો થયો છે. અહીંયા અમે પોહચ્યા ત્યારે સૌથી ચર્ચાસ્પદ રાજા રાણી તળાવ આસપાસ આવેલી વસાહતો પાસે અમે સ્થિતિ જાણી હતી. અહીંયા લોકો પોતાની રીતે વસાહત બનાવી તળાવ આસપાસ ભારે દબાણ કરી પોતાની જિંદગી જીવી રહ્યા છે. અનેકવાર અહીંયા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે. પરંતુ તેઓ વોટ આપે છે અને લાઇટ પાણી વેરો પણ ભરે છે. જેથી હજુ સુધી આ વસાહતો સામે મકાનોની વૈકલ્પિક વ્યવસ્થા ન થતા દૂર કરવા તંત્રની હિંમત ચાલી નથી. આ વિસ્તારમાં લાઇટ અને પાણી પહોંચ્યું છે. પરંતુ અહીંયા ગંદકીથી ખદબદતા આ વિસ્તારમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીંયા રોડ રસ્તાના કોઈ ઠેકાણ નથી. ડભોઈ દશાલાડ વિસ્તારના લોકો પાણીની સમસ્યાથી પરેશાનબાદમાં અમે ડભોઇ દશાલાડ ભવન પહોંચ્યા હતા. આ વિસ્તારમાં ખાસ કરીને ત્રીસ વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં ગટર અને પાણીની સમસ્યા યથાવત રહી છે. હાલમાં જ આ વિસ્તારમાં વરસાદી ડ્રેનેજ અને આજવા સરોવર સુધી પાણીની લાઇન નાખવામાં આવી રહી છે. જેથી વિકાસની દ્રષ્ટિએ તો ઠીક પરંતુ સમય વધુ લાગતો હોવાથી અહીંયા રહેલ પ્લેનેટ વર્લ્ડ, શિલ્પ રેસીડેન્સી, ગોકુલ રેસીડેન્સી અને સુખધામ સોસાયટી સહિતના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સાથે અહીંયા બનાવવામાં આવેલી સરકારી સ્કૂલ અને લેપ્રેસી મેદાનમાં બની રહેલ સરકારી હોસ્પિટલ આ વિસ્તારની નવી છબી ઊભી કરી શકે તેમ છે. આ વિસ્તારમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આકસ્મિક મુલાકાત લીધેલ તે વિસ્તાર એકતનગર આજે પણ વિકાસથી વંચિત છે. અહીંયા ડ્રેનેજ, પાણી સહિતની પ્રાથમિક જરૂરિયાતોથી હજુ પણ લોકો ઝઝૂમી રહ્યા છે. અહીંયા ગેરકાયદેસર અનેક વસાહતો હોવા છતાં તેને દૂર કરવા માટે તંત્રના હાથ જાણે ધ્રુજતા હોય તેવું લાગી રહ્યુ છે. અહીંયા આવેલી પોલીસ ચોકીની સ્થિતિ ખુબજ દયનીય છે. અહીંયા અસહ્ય દુર્ગંધથી આસપાસના લોકો પણ પીડાઈ રહ્યા છે. છતાં સ્થાનિક કોર્પોરેસ્ટરોની અહીંયા સુધી નજર પહોંચી નથી. કિશનવાડીમાં ડમ્પીંગ સાઈટ માથાનો દુઃખાવો બનીવોર્ડ 5માં આવેલ કિશનવાડી વિસ્તારમાં આવેલ ડમ્પીંગ સાઇટ હાલમાં લોકો માટે માથાનો દુખાવો બની છે. કારણ કે આ વોર્ડ 5 અને 6 બંને વિસ્તારોને અસર કરે છે. અહીં આસપાસ રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને અનેક આંદોલનો છતાં શાક માર્કેટ અને ડમ્પીંગ સાઇટ બાજુમાં છે. જે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. અહીંયા રખડતા ઢોરોનો ત્રાસ વધુ છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અહીંયા આવેલ CHC સેન્ટર પર વધુ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ વિસ્તારમાં આવેલ બાપોદ વિસ્તાર હજુ પણ ગ્રામ્ય વિસ્તાર હોય તેવો વિકાસ દેખાઈ રહ્યો છે. આ વિસ્તારમાં સુવિધારૂપ એક સરકારી નવી સ્કૂલની નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે સયાજી હોસ્પિટલનો જ એક યુનિટ લેપ્રેસી મેદાન ખાતે બનાવવામાં આવી રહ્યો છે. સાથે અહીંયા રીંગ રોડ પર થતા ટ્રાફિકની હળવો કરવા ઓવર બ્રિજ પણ પ્રગતિ પર છે. અમને મકાન ખાલી કરવા નોટિસ આપી છે, અમે ક્યાં જઈશું- મોહમ્મદ સલીમપાણીગેટ વિસ્તારમાં સ્થાનિક મોહમ્મદ સલીમ ગુલામ હુસૈન મન્સૂરીએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાલીસ વર્ષથી અહીંયા રહું છું. પરંતુ ન કોઈ પથ્થર, ડામર કે પાણીનો નળ જોવા મળી રહ્યો છે. અહીંયા સુવિધાઓની વાત તો જવા દો તંત્ર મકાન ખાલી કરવા નોટિસ આપી જાય છે અમને વ્યવસ્થા વગર જઈશું ક્યાં. વોટ આપવો અધિકાર છે અને આપીશું પરંતુ તે સમયે નક્કી કરીશું કે કોને આપવો. અહીંના અન્ય એક સ્થાનિક મહિલા સકીના બેને જણાવ્યું કે, અમે રાજા રાણી તળાવ પાસે રહીએ છીએ. આસપાસ પાણી ભરાઈ જાય ત્યારે ખુબજ કીચડ જામી જાય છે અને સ્કૂલોમાં બાળકોને લઈને જતું રહેવું પડે છે. અહીંયા કોઈ સુવિધા નથી આપવામાં આવતી નથી. અમને નોટિસ આપવામાં આવે છે અને મકાન આપતા નથી. મકાન તોડવાની ધમકી આપી ડર આપી જતા રહે છે, વોટ લેવા આવશે તો અમે પહેલા કહીશું કે ઘર આપો, અને વોટ આપીશું. પરંતુ કોઈ સુવિધા નહીં આપે છતાં અમારી તો આ જ દુનિયા છે. અહીંના સ્થાનિક ચાંદમીયાએ જણાવ્યું હતું કે, અહીંયા કોઈ વિકાસ થયો નથી તમે જમીન પર જોઈ લો કેટલો વિકાસ થયો છે. ચૂંટણી આવે છે વોટ લઈ જતા રહે છે અને કોઈ સુવિધા આપતા નથી. અમારા મકાનને નોટિસ આપવામાં આવે છે પરંતુ નહીં તોડે કેમ કે બહુ જૂના છે. 'નેતાઓ અહીં વોટ લેવા આવે છે પણ સુવિધા આપતા નથી'અહીંના નાગરિક આરીફ દીવાને જણાવ્યું હતું કે, પાંચ વર્ષમાં વિકાસની વાત ક્યાં રોડના નામે કઈ અહીંયા બનતું નથી. અહીંયા વોટ લેવા આવે છે પરંતુ સુવિધાઓ આપતા નથી. અંદર કોઈ વિકાસ થયો નથી કોઈને ફેક્ચર હોય તો વધારે પ્રોબ્લેમ થાય તેવી છે. અહીંયા સરકારી પાણીના નળ હતા તે પણ બંધ કરી દીધા છે. વોટ લઈને ચાલ્યા જાય છે અને કામ માટે જઈએ તો કહે છે કે સાહેબ નથી. ચારે ચાર કોર્પોરેટર અહીંયા આવી વોટ લઈ જાય છે પરંતુ વિકાસના કામે કોઈ કામ થતું નથી. સ્મશાન યાત્રામાં અહીંથી નીકળવામાં આવે છે ત્યાં GEBનો થાંભલો નડે છે છતાં કોઈ હટાવતું નથી. એક્તાનગર બાપોદમાં રોડની સુવિધા મળે તેવી આશા છે- નટુભાઈઆ સાથે અમે એકતાનગર બાપોદ વિસ્તારમાં પહોંચ્યા હતા. અહીંના સ્થાનિક નટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, પ્રતાપનગરથી અમે 1981માં આવ્યા હતા અને શરૂઆતમાં અહીંયા મુશ્કેલી હતી. અહીંયા પાણી અને રોડની મુશ્કેલી હતી. અહીંયા થોડી સુવિધાઓ આવી છે પરંતુ અહીંના સ્થાનિક કોર્પોરેટરો વોટ લઈ અને જોવા આવ્યા નથી. અહીંયા આવનાર પાંચ વર્ષમાં રોડ મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છીએ. અહીંના સ્થાનિક સમ્રાટભાઈએ જણાવ્યું હતું કે, અહીંયા અમે છેલ્લા ચાલીસ વર્ષથી રહીએ છીએ. છેલ્લા દસ વર્ષથી પાણીની સમસ્યા હતી જે છેલ્લા એક વર્ષમાં પૂર્ણ થઈ છે. અહીંયા રોડ રસ્તો જ ન હતો જેથી પથ્થર નાખવામાં આવ્યા છે. પહેલા ચોમાસામાં બહુજ ખરાબ પરિસ્થિતિ હતી. અહીંયા ઘરમાં હોય તો બહાર જવાનું મન ન થાય અને બહાર હોય તો ઘરે આવવાનું મન ન થાય. આવનાર દિવસોમાં વધુ સુધારો થાય તેવી આશા છે. અહીંયા ત્રીસ વર્ષમાં વિકાસનો સરવાળો ઝીરો થઈ ગયો છે- હિતેષ પેન્ટરઆ સાથે અમે કિશનવાડી વિસ્તારમાં પહોંચ્યા હતા. અહીંના વિસ્તારમાં રહેતા સ્થાનિક હિતેષ રમણ પેન્ટર છે અને કિશનવાડી વોર્ડ પાંચમાં આવે છે. અહીંયા છેલ્લા પાંચ વર્ષની વાત છોડો પરંતુ છેલ્લા ત્રીસ વર્ષમાં વિકાસના સરવાળો ઝીરો થઈ ગયો છે. અહીંયા વિધાનસભા 141 લાગે છે. દર વર્ષે ભાજપા તરફથી પાયલટો ઉતારવામાં આવતા હતા, અહીંયા કોર્પોરેટર આવતા નથી. જેના કારણે રોડ રસ્તો અને ગટર સહિત શુધ્ધ પાણીની સુવિધા આપી શક્યા નથી. વધુમાં કહ્યું કે, આ વિસ્તારમાં સૌથી મોટો પ્રશ્ન છે કે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. શહેરમાં ઈલોરાપાર્ક, અલકાપુરી જેવા વિસ્તારોમાં સુવિધાઓ મળે છે જે પૂર્વ વિસ્તારને બાદ કરવામાં આવ્યો છે. અહીંયા રેસિડન્ટ વિસ્તારમાં ડમ્પીંગ યાર્ડ છે, બાજુમાં શાક માર્કેટ આવેલું છે. એટલે તેની દુર્ગંધથી અહીંના લોકો સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. અહીંયા રહેતા સંજયભાઇએ જણાવ્યું હતું કે, હું અહીંયા છેલ્લા પિસ્તાળીસ વર્ષથી રહુ છું, અહીંયા સમસ્યાઓ બહુ છે. અહીંયા મારા ઘરથી 100 મીટર દૂર ડમ્પીંગ યાર્ડ આવેલી છે. જેથી સવાર સાંજ અહીંયા દુર્ગંધ માળે છે. અહીંના સ્થાનિક લોકો સાથે રાખી આંદોલન કર્યું છતાં તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અહીંયા કોઈ પણ મત લેવા માટે આવશે તો અમે તેનો જવાબ આપીશું. અમારી સમસ્યાનો નિરાકરણ લાવશે તો અમે ચોક્કસથી તેને વોટ આપીશું. અહીંયા કોઈ પણ વ્યક્તિ કોર્પોરેટરોને ઓળખાતા નથી. એકવાર અહીંયા વોટ લઈને ગયા પછી જોવા આવ્યા નથી. આ અંગે વોર્ડ પાંચમાં વોર્ડ પ્રભારીની જવાબદારી નિભાવતા આમ આદમી પાર્ટીના પ્રકાશભાઈ બારોટે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રીસ વર્ષથી વડોદરામાં ભાજપનું શાસન છે, છતાં અહીંયા પીવાના શુદ્ધ પાણીની મોટી સમસ્યા છે, પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી. અહીંયા ડ્રેન્જની સમસ્યા છે, રખડતા ઢોરોનો ત્રાસ છે. અહીંય છોકરાઓને સ્કૂલે મોકલવામાં તકલીફ પડે છે અને સ્કૂલોની સ્થિતિ ખરાબ છે. અહીંયા સામાન્ય વરસાદમાં વિસ્તારમાં પાણીથી છલોછલ થઈ જાય છે. 'ડમ્પીંગ યાર્ડના કારણે અહીં દીકરા-દીકરીના સગપણ થતા નથી'વધુમાં કહ્યું કે, વોર્ડ પાંચ અને છ માં આવરી લેતી કિશનવાડી ગધેડા માર્કેટ પાસે આવેલ ડમ્પીંગ યાર્ડ છેલ્લા પંદર વર્ષથી અહીંયા અડિંગો જમાવી બેઠેલ ડમ્પીંગ યાર્ડને લઈ અમે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છીએ તે ભાજપ તરફથી ભેટ મળેલી છે. અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે તો કિશનવાડીમાં ગંદકીનો સામનો કરવો પડતો હોય છે. અહીંના વિસ્તારની હાલાકી એવી છે કે અહીંના દીકરા દીકરીના સગપણ પણ થતા નથી. અહીંયા ઉંદર, મચ્છરનો ત્રાસ છે, જરૂરી સુવિધાઓનો અભાવ છે. અહીંયા સમસ્યા અંગે અનેકવાર રજૂઆત બાદ તેઓ અહીંયા આવે છે. આ વોર્ડમાં છેલ્લા પાંચ વર્ષમાં વિકાસ અને વાયદા વચ્ચે ભાજપના કોર્પોરેટર હોવા છતાં વિકાસ સાથે સમસ્યાઓની અહીંયા ભરમાર જોવા મળી રહી છે. અમે લોકોની સમસ્યાઓ અને કામગીરી અંગે સતાધારી પક્ષ ભાજપના વૉર્ડ પ્રમુખનો સંપર્ક કર્યો જો કે તેઓનાથી લોકો નારાજ હોય તેમ કઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો. સાથે સાત જીતની આશામાં વર્ષોથી લડત ચલાવતા કોંગ્રેસ પક્ષના પ્રમુખનો સંપર્ક કર્યો જો કે તેઓને પણ પ્રજાના પ્રશ્નો અંગે કઈ પડી ન હોય તેમ વાતચીત કરવા તૈયાર થયા ન હતા અને સમય નથી તેવું કહી ચૂપકી સાધી હતી. 'પાણીની સમસ્યા મુદ્દે અધિકારીઓ અમારું સાંભળતા નથી'આ અંગે ભાજપના પૂર્વ કોર્પોરેટર પ્રફુલાબેન જેઠવાએ જણાવ્યું હતું કે, હાલમાં પૂર્વ વિસ્તારમાં ઘણાબધા વિકાસલક્ષી કામો ચાલી રહ્યા છે. અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા તો છે જેને લઈ અમે પણ સત્તત કામગીરી કરી રહ્યા છીએ. પુરતું પાણી હોવા છતા અધિકારીઓ વાત સંભાળતા નથી. અમે અધિકારીઓને કહીએ છીયે કે નળમાં પાણી આવે તેટલું આપે. અમે છેલ્લા પાંચ વર્ષથી અમે ખુબજ લડ્યા છીએ. અમારા વિસ્તારમાં ખારું પાણી હોવાથી અહીંયા થોડી સમસ્યા વધારે છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 6:00 am

ઈસુદાન ગઢવીને પોલીસ પકડી ગઈ, પછી શું થયું?:CMએ જુના કોંગ્રેસીને જાહેરમાં વખાણ્યા; PMની સભામાં પબ્લિક ફુડ પેકેટ માટે વિફરી, જુઓ પડાપડીનો VIDEO

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 6:00 am

જામનગરની દીકરી જજની ખુરશી સંભાળશે:2 વાર નિષ્ફળતા મળી છતાં હિંમત ન હારી, ઘૂંઘટની મર્યાદા પણ પાળી અને ઇતિહાસ પણ રચ્યો

જ્યારે કોઇ સ્ત્રીના સપનાને પિયરની શિસ્ત અને સાસરી પક્ષ તરફથી અતૂટ વિશ્વાસ મળી જાય છે ત્યારે તે સ્ત્રી ઇતિહાસ રચવા માટે સક્ષમ બની જાય છે. આવું જ કંઇક કરી બતાવ્યું છે જામનગરની દીકરી અને રાજસ્થાનના બાડમેરની પુત્રવધુ દીપુ કંવર ચૌહાણે. દીપુએ રાજસ્થાની પરંપરા પ્રમાણે ઘૂંઘટ તાણવાની મર્યાદા પાળવાની સાથોસાથ જજ બનવા સુધીની સફર ખેડી છે પણ તેની આ સફર કંઇ સામાન્ય નહોતી. કેમ કે 2-2 વાર પરીક્ષામાં ફેલ થવા છતાં તેમણે હિંમત હારવાને બદલે નિષ્ફળતાને જ સફળતાની ચાવી બનાવી દીધી. જજ બનવાનું સપનું જોવાથી લઇને સફળતા મેળવવા સુધીની સફર વિશે દિવ્ય ભાસ્કરે દીપુ કંવર ચૌહાણ સાથે એક્સક્લૂસિવ વાતચીત કરી હતી. એક માતા હોવા છતાં પોતાની દીકરીથી દૂર રહીને પણ તેમણે ઘરના એક રૂમને હોસ્ટેલમાં ફેરવી નાખ્યો. જેના કારણે તેનું સપનું સાકાર થયું છે. દીપુના લગ્ન બાડમેરના જાલીપાના રહેવાસી લોકેન્દ્રસિંહ સાથે થયા છે. જ્યારે દીપુ કંવર સાસરે ગયા ત્યારે જ તેમના મનમાં જજ બનવાની ઇચ્છા હતી. ત્રીજા પ્રયત્ને સફળતા મળીતેમણે વર્ષ 2022માં પહેલીવાર ગુજરાત ન્યાયિક સેવા માટેની પરીક્ષા આપી ત્યારે પ્રિ અને મેઇન્સ બન્ને ક્લીયર કરી લીધી હતી પણ ઇન્ટરવ્યૂમાં સફળતા નહોતી મળી. આના પછી 2023માં ફરીથી પરીક્ષા આપી ત્યારે મેઇન્સ ક્લીયર ન થઇ. 2025માં તેમણે ત્રીજીવાર પરીક્ષા આપી અને 79મો રેન્ક મેળવીને સફળતા હાંસલ કરી હતી. રિઝલ્ટ આવ્યું ત્યારે મોબાઇલ હાથમાં જ હતો10મી માર્ચે જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવ્યું ત્યારે દીપુ કંવર જામનગરમાં હતા. તેમના હાથમાં મોબાઇલ હતો. તેમણે મોબાઇલમાં જોયું પણ ખરા કે રિઝલ્ટ આવ્યું છે પણ રિઝલ્ટ જોતાં પહેલાં મંદિરે ગયા અને પ્રાર્થના કરી કે મારૂં નામ આવી જાય. આના પછી રિઝલ્ટ જોયું તો તેમાં નામ હતું. તેમને તો વિશ્વાસ જ ન થયો. દીપુએ સૌથી પહેલાં પિતાને જાણ કરી અને રાત્રે જ જામનગરથી બાડમેર જવા નીકળી ગયા. સાસરિયામાં પહોંચીને જાણ કરી તો ત્યાં ખુશી છવાઇ ગઇ હતી. પિતાની શિસ્તે સફળતાનો પાયો નાખ્યોદીપુ કંવરને નાનપણથી જ મોટા ઓફિસર બનવાની ઇચ્છા હતી. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું, હું જ્યારે ત્રીજા કે ચોથા ધોરણમાં ભણતી હતી ત્યારથી ભણવામાં મને ખૂબ જ રૂચિ હતી. ત્યારે એવી કોઇ ખબર નહોતી પડતી કે મારે જજ બનવું છે કે બીજું કંઇ બનવું છે પણ મેં એટલું ચોક્કસ નક્કી કર્યું હતું કે મારે કોઇ મોટા ઓફિસર બનવું છે. મારૂં બાળપણ ખૂબ જ સારા ઉછેર સાથે થયું છે. મારા પિતા પહેલેથી જ ડિસિપ્લીન અને વેલ મેનરમાં માને છે એટલે મારી સફળતાનો પાયો ત્યાંથી જ નંખાયો હતો. સાસરિયા તરફથી સારો સહકાર મળ્યોઃ દીપુ કંવરજ્યારે LLBના બીજા વર્ષમાં હતા ત્યારે તેમના લગ્ન થયા હતા. તેમણે જણાવ્યું કે, હું જેમ જેમ આગળ ભણતી ગઇ તેમ તેમ ડિસિપ્લીન સાથે આગળના અભ્યાસ પર ફોકસ કર્યું અને નક્કી કર્યું કે મારે જજ બનવું છે. આ માટે મેં પહેલાં LLBનો અભ્યાસ શરૂ કર્યો. જ્યારે હું બીજા વર્ષમાં આવી ત્યારે મારા પરિવારે મારા લગ્ન કરાવ્યાં. લગ્ન નક્કી થયા એ પહેલાંથી જ મારા સાસરિયાઓને ખબર હતી કે હું જજ બનવા માંગુ છું. મારા પતિનો પરિવાર ખૂબ જ સારો હતો. તેમનો મને સારો સહકાર મળ્યો છે. લગ્ન બાદ દીપુને તેના સાસરિયાઓએ કહ્યું હતું કે તમારી પ્રેક્ટિસ જામનગરમાં ચાલે છે તો તમે ત્યાં જ રહો અને જજ બનવા માટેની તૈયારી કરો. સસરાએ કહ્યું- તમારે કોઇ કામ નથી કરવાનુંસસરાએ ઘરકામને બદલે ભણવા પર ધ્યાન આપવા કહ્યું તે ક્ષણ કેટલી મહત્વની હતી? તેના વિશે પણ દીપુએ વાત કરી.તેઓ જણાવે છે કે, મારા સસરા મને કહેતાં હતા કે બેટા તમારે કંઇ કામ નથી કરવાનું. જેથી મને હંમેશા એક મોટિવેશન મળતું હતું કે મારો પરિવાર પણ ભણતરમાં ખૂબ જ સપોર્ટ કરી રહ્યો છે. આના કારણે જજ બનવાના મારા લક્ષ્ય સુધી પહોંચવાની મારી આશા વધુ સ્પષ્ટ બનતી હતી. જ્યારે પરિવાર સપોર્ટમાં આવે છે ત્યારે આપણું સપનું એ આપણા પૂરતું સિમિત નથી રહેતું પણ તે પરિવારનું સપનું બની જાય છે. માતા બન્યા પછી પણ કેવી રીતે સપનાને સાકાર કરી બતાવ્યું એ અંગે તેમણે જણાવ્યું કે, આ સમય મારા માટે પડકાર જેવો તો હતો જ પણ મારા પિતાએ બાળકોનો ઉછેર કેવી રીતે કરવો તે શીખવ્યું છે. એટલે મેં મારા બાળકનો ઉછેર પણ એવી રીતે જ કર્યો કે તે મારાથી અલગ રહી શકે છે. મારી દીકરી મારા વગર બધું જ કામ કરી શકે છે. તેના નાના-નાની અને દાદા-દાદી સાથે રહી શકે છે. હાલમાં પણ મારી દીકરીને ખબર છે કે મારા મમ્મી જજ બન્યાં છે તો હવે તેમણે ટ્રેનિંગમાં જવું પડશે તો એ સામેથી જ કહે છે કે હું તો નાના-નાની સાથે જ રહીશ. પુસ્તકોની વચ્ચે દિવસો પસાર કર્યાપરીક્ષા પહેલાંની તૈયારી માટે દીપુએ ઘરના જ એક રૂમને હોસ્ટેલ બનાવી દીધો હતો. આ અંગે તેમણે કહ્યું, જ્યારે પરીક્ષા આવતી ત્યારે હું ઘરના એક રૂમને હોસ્ટેલ બનાવી દેતી હતી. એ રૂમમાં મને ચા, કોફી, જમવાનું મળી જતું બાકી એ રૂમમાં હું સતત ભણવાનું જ કામ કરતી હતી. જ્યાં ખાલી મારું ટેબલ અને બુક્સની વચ્ચે જ મેં દિવસો પસાર કર્યાં હતા. મેં એટલા સમય દરમિયાન મારા પરિવારના સભ્યો સાથે પણ કટ ઓફ કરી દીધો હતો. ભૂલો સુધારવાથી સફળતા મળે જ છેઃ દીપુ કંવરઆ સફળતા માટે કેવી રીતે પોતાની જાતને માનસિક રીતે તૈયાર કરી એ અંગે તેમણે કહ્યું, જ્યારે હું બે વાર ફેલ થઇ ત્યારે એ સમય દરમિયાન મને મનમાં સતત થતું હતું કે હું ફેલ થઇ ગઇ છું. પણ મારા કિસ્સામાં આ વસ્તુ ટેમ્પરરી જ રહી હતી. એ પછી ફરી પાછી ભણવા માટે એનર્જી આવી ગઇ કેમ કે એક્ઝામ આવતી હતી એટલે એવું જ હતું કે મારે એક્ઝામની તૈયારી કરવાની છે. બાકી પ્રેક્ટિસ તો ચાલતી જ હતી. જેમાંથી મને મોટિવેશન મળતું હતું. મારા મતે તો નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે. 'સપનું પૂરૂં કરવાની જીદ હોવી જોઇએ'તેમણે અન્ય સ્ત્રીઓને લગ્ન બાદ પોતાના સપનાને અભેરાઇએ ચડાવી દેવાને બદલે પોતાની ક્ષમતા અને લાયકાત સાબિત કરવાની અપીલ કરી.દીપું કંવરે કહ્યું, આજે પણ લોકોને ન્યાયતંત્ર પર શ્રદ્ધા અને વિશ્વાસ છે. તે જાળવી રાખવા અને કાયદાને આધિન રહીને હું આ ફિલ્ડમાં આગળ વધીશ. લગ્ન પછી પોતાના સપનાઓને સાઇડમાં મૂકી દેતી અનેક સ્ત્રીઓને હું કહેવા માંગુ છું કે તમે તમારા પરિવાર સામે એ સાબિત કરી બતાવો કે તમારૂં સપનું પૂરૂં કરવાની તમારામાં ક્ષમતા અને લાયકાત છે. આના પછી બધુ ફેમિલી ઉપર છે. જો એ લોકોને ખરેખર વિશ્વાસ આવી જશે તો ફેમિલી ચોક્કસ સપોર્ટ કરશે જ. તમારું સપનું પૂરૂં કરવાની જીદ તમારામાં હશે તો તમે ચોક્કસ તે પૂરૂં કરી શકશો.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 6:00 am

આજે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે:આ રીતે ઓળખો બાળકને ઓટિઝમ છે કે નહીં, તમારા રસોડામાં જ છુપાયેલી છે સારવાર?

આજે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે છે. ત્યારે દિવ્ય ભાસ્કરે વાત કરી જાણીતા ઓટિઝમ એક્સપર્ટ ડૉ.કેતન પટેલ સાથે. જેઓ પાછલા ઘણા વર્ષોથી હોમિયોપેથીના માધ્યમથી ઓટિઝમ ગ્રસ્ત બાળકોની સારવાર કરી રહ્યા છે. આવા બાળકોમાં કેવા લક્ષણો જોવા મળે છે? ઓટિઝમ કઈ રીતે થાય છે ? અને શું ખરેખર ઓટિઝમને કાયમી રીતે દૂર કરી શકાય છે ? જાણવા માટે જુઓ ડૉ.કેતન પટેલ સાથેની ખાસ વાતચીત.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 6:00 am

ગાંધીના ગુજરાતમાં દારૂના ગ્રાહકો ઉભા કરવા સગવડિયા નિયમો:આરોગ્ય કારણથી પરવાનગી મેળવવાના ફોર્મમાં આશ્ચર્યજનક વિગતો, સરકારી તર્ક-WHOના રિપોર્ટમાં મોટો ભેદ

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હંમેશાથી વિવાદમાં રહ્યો છે. તાજેતરનો જ કિસ્સો ગાંધીજીની જન્મભૂમિ એવા પોરબંદરમાં લિકર શોપ ખોલવાની પરવાનગી બાબતનો છે. ગુજરાતમાં કથિત કડક નિયમો વચ્ચે કોઈએ કાયદેસર દારૂ પીવો હોય તો પરમિટ લેવી પડે. ગુજરાતમાં રહેતા લોકો બીમારીનું કારણ ધરીને પરમિટ મેળવી શકાય. પણ આ છૂટછાટમાં કેવી કેવી પોલમપોલ ચાલે છે તેનો પર્દાફાશ દિવ્ય ભાસ્કરની તપાસમાં થયો છો. 1960માં ગુજરાત અસ્તિત્વમાં આવ્યું ત્યારે બોમ્બે સ્ટેટના કેટલાક કાયદા અપનાવ્યા હતા. જેમાંનો એક કાયદો પ્રોહિબિશનને લગતો હતો. દિવ્ય ભાસ્કરે એ સમયની પોલિસીથી લઈને અત્યારે લાગૂ પડતા કાયદાનો અભ્યાસ કર્યો, હાલમાં કોઈ ગુજરાતીને દારૂ પીવાની પરમિટ લેવી હોય તો પ્રક્રિયા શું છે અને એમાં ક્યાં છીંડા પડી ગયા છે એ જાણવાનો પ્રયાસ કર્યો. ડોક્યુમેન્ટેશનથી માંડીને અરજદારની મેડિકલ પ્રોફાઇલ બનાવવાની પ્રોસેસને સ્કેન કરી. જાણિતા ડોક્ટરોને પૂછ્યું અને WHO જેવી વૈશ્વિક સંસ્થાઓના રિપોર્ટ્સનો અભ્યાસ કર્યો. તો ચોંકાવનારી હકીકત સામે આવી. સરકાર દારૂની સત્તાવાર પરમિટ કેવી રીતે આપે છે?અગાઉ ગુજરાતની નશાબંધી અને આબકારી કચેરીમાં કોઈપણ પરવાનો મેળવવા માટેની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓફલાઈન હતી. અરજદારોને ફોર્મ ભરવા, બેંકમાં ચલણ દ્વારા ફી ચૂકવવા અને ડોક્યુમેન્ટ માટે પણ ધક્કા ખાવા પડતા હતા. આ પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર પણ ધમધોકાર ચાલતો હોવાની ફરિયાદો આવતી હતી. એટલે થોડા સમય પહેલાં જ લિકર પરમિટની પ્રક્રિયા ઓનલાઇન કરી નાખવામાં આવી છે. હવે, http://eps.gujarat.gov.in નામની વેબસાઇટ મારફત પરથી અરજી કરીને દારૂની પરમિટ મેળવી શકાય છે. જેમાં લોગ-ઇન આઇડી જનરેટ કરવી પડશે. ત્યાર બાદ વેબસાઇટ પર આપેલી વિગતો ભરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. પછી ઇ-પરમિટની પ્રિન્ટ કાઢીને તમામ ડોક્યુમેન્ટનું રૂબરુમાં વેરિફિકેશન કરાવવાનું હોય છે. એટલું જ નહીં, અરજદારે મેડિકલ બોર્ડ સામે હાજરી આપવાની હોય છે, ત્યાંથી તેઓ એક સર્ટિફિકેટ મળે છે. આમ, કુલ પાંચેક સ્ટેપમાં પરમિટનું કામ પૂરું થઈ જાય છે. જો કે પહેલી નજર એકદમ સીધી અને સરળ લાગતી આ પ્રોસેસમાં અમને કેટલાક ચોંકાવનારા તથ્ય મળ્યા. ગુજરાત નશાબંધી અને આબકારી વિભાગે નક્કી કરેલી સત્તાવાર SOPમાં ચાર મુખ્ય બાબતો છે. કોઈપણ વ્યક્તિએ આરોગ્ય કારણોસર લિકર પરમિટ મેળવવી હોય તો ડૉક્ટરની ભલામણ જોઈએ. ગુજરાતમાં અનિંદ્રા, હાઇપર ટેન્શન, હૃદયરોગ તેમજ કિડનીના રોગમાં ડોક્ટરની ભલામણથી દારૂની પરમિટ મળતી હોય છે. ફોર્મ S-3ની આશ્ચર્યચકિત કરતી વિગતોઆ પ્રક્રિયામાં સૌથી મહત્વનું ડોક્યુમેન્ટ એટલે ફોર્મ S-3. આ ફોર્મ ડૉક્ટર દ્વારા ભરવામાં આવે છે. એક પ્રકારના આ સર્ટિફિકેટમાં ડૉક્ટર જે તે વ્યક્તિની તપાસ કરીને વિગતો ભરે છે. આ સર્ટિફિકેટમાં લખેલી વિગતો જ હેલ્થ ઇશ્યુના કારણે મળતી લિકર પરમિટ પર પ્રશ્ન ઉભા કરે છે. ગુજરાતના વતની હોય અને દારૂની પરમિટ માટે ફોર્મ S-3 લીધું હોય એવા એક વ્યક્તિને અમે શોધ્યા. તેમના ફોર્મ S-3 સર્ટિફિકેટમાં કુલ 9 પ્રકારની માહિતી ડૉક્ટરે ભરેલી હતી. જેમ કે નામ, સરનામું, ઉંમર, ઊંચાઈ, વજન તેમજ બ્લડપ્રેશર જેવી વિગતો. આ વિગતો ડૉક્ટરે ભરવાની હોય છે. પરંતુ ફોર્મમાં નીચેના ભાગમાં 3 વાક્ય ખૂબ જ આશ્ચર્યજનક રીતે અગાઉથી જ છાપેલા જોવા મળે છે. આ વ્યક્તિની તપાસ કરવામાં આવી, જેના આધારે પ્રમાણિત કરવામાં આવે છે કે...1. તેનું શારીરિક સ્વાસ્થ્ય સારું છે અને તેને કોઈપણ શારીરિક ખામી નથી2. સ્થિર માનસિક સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું છે અને હિંસક વલણ ધરાવતું નથી3. કોઈપણ એવા પદાર્થ પર નિર્ભર (વ્યસની) માલૂમ પડી નથી, જે કેફી અથવા માદક અસરો ધરાવતો હોય ડૉક્ટરનો દાવો- અમે ઇશ્યુ કરેલા સર્ટિફિકેટનું વેરિફિકેશન નથી થતુંઆ ઉપરાંત ડૉક્ટર ભલામણ કરતો એક સર્ટિફિકેટ આપે છે. જેમાં લખ્યું હોય છે કે જે તે વ્યક્તિને અમુક બીમારીના કારણે દારૂની જરૂરીયાત છે. પણ આવા સર્ટિફિકેટ આપનાર એક ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે સર્ટિફિકેટના વેરિફિકેશન માટે ઇશ્યુ કરનાર ડૉક્ટર કે હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવતો નથી. આમ, આવી લોલમલોલ ઘણા સવાલો ઉભા કરે છે. ડૉક્ટર પાસેથી સર્ટિફિકેટ મેળવી લીધા બાદ અરજદારે નશાબંધી ખાતામાં ઓનલાઈન અરજી કરવાની હોય છે. તેમાં ડૉક્ટરનું સર્ટિફિકેટ, સિવિલ સર્જનનું સર્ટિફિકેટ, આધાર કાર્ડ સહિતના તમામ ડોક્યુમેન્ટસને અરજીની સાથે ઓનલાઈન અપલોડ કરવાના હોય છે. તેમજ જરૂરી ફી પણ ઓનલાઈન ભરી દેવાની હોય છે. ત્યાર બાદ નશાબંધી ખાતામાંથી મેસેજ આવતા રહે છે. જો કોઈ ડોક્યુમેન્ટ્સ ખૂટતા હોય તો ઇ-મેલ કરીને દસ્તાવેજોને મંગાવવામાં આવે છે. ગુજરાતમાં 26 સ્થળે મેડિકલ બોર્ડ બેસે છેહેલ્થ પરમિટ માટે સરકારી મેડિકલ બોર્ડની તપાસ અનિવાર્ય છે. નશાબંધી વિભાગના ડેટા પ્રમાણે આવા મેડિકલ બોર્ડ ગુજરાતમાં 26 સ્થળે છે. એટલે અરજદારે પોતાના વિસ્તારની સિવિલ હોસ્પિટલના એરિયા મેડિકલ બોર્ડ સમક્ષ હાજર થવું પડે છે. જ્યાં ડૉક્ટરો અરજદારના આરોગ્યની તપાસ કરે છે. તેમજ રિપોર્ટ આપે કે અરજદારને ખરેખર કોઈ બીમારી એટલે કે અનિદ્રા, હૃદયની કે અન્ય કોઈ ગંભીર બીમારી છે કે જેથી તેમને દારુ પીવાથી ફાયદો થઈ શકે. બોર્ડના રિપોર્ટ બાદ જ અરજદારને દારુ પીવાની પરમિટ આપવામાં આવે છે. જો બોર્ડ ના પાડે કે, અરજદારને જરૂર નથી તો પછી દારુની પરમિટ અપાતી નથી. સામાન્ય રીતે એકાદ મહિનામાં અરજીને સ્વીકારી હોવાનો મેસેજ આપીને લાયસન્સ લઈ જવાનું કહેવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાંથી મળેલા સર્ટિફિકેટ અને 3 લાખની આવકનો દાખલો હોય તેવી મોટાભાગની અરજીના રિજેક્શનની સંખ્યા ઓછી હોય છે. પરમિટના નામે કેટલા રૂપિયા સરકારી તીજોરીમાં જાય છે?અરજદારે સૌ પ્રથમ તપાસ કરનારા ડૉક્ટરને 1000થી 2000ની ફી ચૂકવવી પડે છે. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલમાં જાય ત્યારે વિવિધ પ્રકારના બોડી ચેકઅપ માટે લગભગ 4થી 5 હજારનો ખર્ચ થાય છે. ત્યાર બાદ સિવિલ સર્જન સર્ટિફિકેટ આપે એટલે સિવિલને 25 હજાર રુપિયાની સત્તાવાર ફી ચૂકવવી પડે છે. જ્યારે જૂની પરમિટના રિન્યુ માટે 20 હજાર સુધીનો ચાર્જ ચુકવવો પડે છે. અરજી કરવામાં આવે ત્યારે નશાબંધી ખાતાને પણ 6 હજાર રૂપિયાની ફી ઓનલાઈન ભરવાની હોય છે. આમ, અરજદારને કુલ 45 હજાર રૂપિયાની આસપાસની સત્તાવાર ફી ચૂકવવાની થાય છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં સવાલ કર્યો કે 20 જાન્યુઆરી, 2026 સુધીમાં છેલ્લા બે વર્ષમાં વર્ષવાર રાજ્યમાં હેલ્થ લિકર પરમિટ ફીની કેટલી આવક થઈ? જેના જ જવાબમાં સરકારે માહિતી આપે કે 21 જાન્યુઆરી, 2024થી 20 જાન્યુઆરી 2025 સુધીમાં 7 કરોડ 88 લાખ 68 હજાર રૂપિયાની આવક થઈ છે. બીજા વર્ષે એટલે કે 21 જાન્યુઆરી, 2025થી 20 જાન્યુઆરી, 2026 દરમિયાન 8 કરોડ 63 લાખ 15 હજાર રૂપિયાની આવક થઈ છે. આ રકમ ગરીબ દર્દીઓની સારવાર માટે વાપરવામાં આવતી હોવાનો દાવો કરાતો હોય છે. પરમિટ મેળવી આપવામાં પણ એજન્ટો એક્ટિવ હોવાનો દાવોસૂત્રોના જણાવ્યા પ્રમાણે પરમિટની પ્રક્રિયા ઓનલાઇન થઈ ગયા બાદ પણ કેટલાક એજન્ટ રૂપિયા લઈને આવી દોડાદોડીનું કામ પતાવી આપે છે. જો કોઈ વ્યક્તિ એજન્ટને પકડીને કામ સોંપે તો 20 હજાર વધુ ચૂકવવા પડે છે. આ એજન્ટ જ અરજદાર પાસેથી ડોક્યુમેન્ટ્સ લઈને સિવિલમાં જમા કરાવી દે છે. જરૂર પડે તો અરજદારે એકાદ વખત સિવિલ હોસ્પિટલ સુધી ધક્કો ખાવો પડે છે. બાકીનું તમામ કામ એજન્ટ જ પતાવી આપે છે. નશાબંધી ખાતામાં પણ તે ઓનલાઈન અરજી સહિતની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દે છે. સામાન્ય રીતે કોઈપણ સરકારી પોર્ટલ પરથી કોઈ યોજનાની અરજી કરવાની હોય કે પરમિશન માટે ફોર્મ ભરવાનું હોય તો જે તે પોર્ટલ પર તમામ માહિતી મૂકાતી હોય છે. ખાસ કરીને અરજી કરવા માટે કયા-કયા દસ્તાવેજની જરૂર છે તેની માહિતી અપાતી હોય છે. પરંતુ નશાબંધી ખાતાના પોર્ટલ પર આવી સ્પષ્ટ વિગતો જોવા મળતી નથી. દારૂની પરમિટ મેળવનારે અંદરની હકીકત જણાવીગુજરાતની વતની અને સ્વાસ્થ્યનું કારણ આપીને પરમિટ ધરાવતા એક વ્યક્તિએ પોતાની ઓળખ છૂપાવવાની શરતે જાણકારી આપતા કહ્યું, દારૂ પીવાથી તબીયત સુધરી જાય એવું નથી કહેતો. પરંતુ પરમિટથી સરકારી ધોરણે મળતો દારૂ ઓછું નુકસાન કરે છે. દારૂના સેવનથી શારીરિક સમસ્યા સાવ મટી જાય એવું નથી. કારણ કે હાર્ટ, કિડની અને લિવરને લગતા અનેક રોગ થાય છે. તેમણે કહ્યું, પરમિટ મળ્યા બાદ પણ ઘણા બધા નિયમોનું પાલન કરવું પડે છે. જેમ કે હેલ્થ પરમિટ હેઠળ જે સરનામું આપ્યું હોય ત્યાં જ દારૂ પીવાની છૂટ મળે છે. ગુજરાત કે ગુજરાત બહાર આવા દારૂને લઈ નથી જઈ શકતા. દારૂ પીને ડ્રાઇવિંગ ન કરી શકો, બીજી કોઈ વ્યક્તિને આ દારૂ આપી ન શકો. વધુમાં જણાવ્યું, એવું નથી કે હેલ્થ પરમિટ હેઠળ અરજી કરો એટલે પાસ થઈ જાય. એના માટે ઘણા નિયમો-શરતોનું પાલન કરવું પડે છે. હાલના સમયે લિકર પરમિટની સિસ્ટમ ઓનલાઈન થઈ ગઈ છે. ઘણા બધા લોકોને આ પ્રોસેસમાં ખબર નથી પડતી તો તેમને મદદ કરવા માટે માણસો પણ મળી રહે છે અને તેઓ નાની-મોટી “ફી” પણ લેતા હોય છે. ડ્રાય સ્ટેટ ગુજરાતમાં કઈ પરમિટમાં કેટલો દારૂ અને બિયર મળી શકે છે? સરકારી અને રાજકીય દાવા પ્રમાણે ગુજરાત ભલે ડ્રાય સ્ટેટ ગણાતું હોય પરંતુ લિકર પરમિટ મળ્યા બાદ 40થી 50 વર્ષ સુધીની વ્યક્તિ મહિને 3 યુનિટ એટલે કે 3 બોટલ મળી શકે છે. 50થી 65 વર્ષ સુધીના પરમિટધારકને મહિને 4 યુનિટ, જ્યારે 65થી વધુ વર્ષ કરતાં વ્યક્તિને 5 યુનિટ બોટલ દારૂ આપવામાં આવે છે. અમે લિકર પરમિટનો આધાર જે બીમારી પર છે તે બાબતે મેડિકલ સાયન્સ શું કહે છે એ જાણવાનો અમે પ્રયાસ કર્યો. અમદાવાદમાં આવેલી SGVP હોસ્પિટલના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ.કૃષ્ણ કિશોરે કહ્યું, મને દર્દીઓ આવીને પૂછે છે કે દારૂ પીવાથી તો લોહી પાતળુ થશે ને? તો હું જવાબ આપું છું કે આ ખોટી ધારણા છે. એક સવાલના જવાબમાં ડૉ.કૃષ્ણ કિશોરે કહ્યું, બ્લડપ્રેશર અને કોલસ્ટ્રોલ માટેની ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે. અનિંદ્રા માટે દવા આવે છે પણ સ્ટ્રેસ હોય તો મેડિટેશન કરો, યોગ કરો અને દવા વગર જ ઊંઘ આવે એવો પ્રયાસ કરવો જોઈએ. કોઈને બ્લડપ્રેશરની સમસ્યા હોય અને દારૂ પીવાનું ચાલુ રાખશે તો વજન વધશે અને ભવિષ્યમાં ડાયાબિટીસ પણ થઈ શકે છે. આમ, દારૂ પીવાથી સારું થશે એ માન્યતા ખોટી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપરિટેન્ડેન્ટ ડૉ.એમ.એમ.પ્રભાકરને પણ આ સવાલ કર્યો. કારણ કે લિકર પરમિટની પ્રક્રિયામાં સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટની પણ મહત્વની ભૂમિકા હોય છે. તેમણે કહ્યું, વૈજ્ઞાનિક રીતે જોઈએ તો એવો કોઈ રોગ નથી જેના માટે દારૂ પીવો પડે. છતાં પણ અમુક રોગ આવે છે જેમાં રાત્રે ઊંઘ ન આવે, છાતીનું દુખતું હોય. દારૂના કારણે નસો ફૂલી જાય છે, લોહીનું પરિભ્રમણ વધે છે. એટલે ફાયદો થતો હોય છે. ગુજરાત, બિહાર જેવા રાજ્યોમાં જ આવા પ્રતિબંધ છે, બાકી આખા ભારતમાં છૂટ છે. ડૉ.પ્રભાકરે આ પરમિટ પાછળનું એક “કડવું સત્ય” જણાવ્યું… અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં આવેલી સંજીવની હોસ્પિટલના કન્સલ્ટન્ટ ફિજીશિયન અને કાર્ડિયોલોજિસ્ટ ડૉ.દેવાંગ શાહનો પણ અમે મત જાણ્યો. તેમણે કહ્યું, જો વધારે દારૂ પીવામાં આવે તો લિવર અને બીજા અંગો પર આડઅસર થાય છે. જે લોકોને એન્જાયટી ડિસઓર્ડર છે એ લોકો નિયમિત પણે નહીં પણ એન્જાયટી અટેક આવે ત્યારે ઓછી માત્રામાં લે તો તેમના સ્વાસ્થ્ય માટે ફાયદો ગણાય. પરંતુ આવી મેડિકલ જરૂરીયાતના નામે લોકો ખોટી રીતે પરમિટ મેળવે છે. જે તેમના હેલ્થ માટે પણ નુકસાનકારક છે. દારૂ પીવાથી અનિંદ્રા, હાઇપર ટેન્શન, હૃદયરોગ તથા કિડનીની બીમારીમાંથી રાહત મળતી હોય એ બાબતે ડોક્ટરોનો પણ એકમત નથી. એટલે દારૂ બાબતે થયેલી મોટી સંસ્થાઓનું રિસર્ચ શું કહે છે એ તપાસ કરી. આ શોધખોળમાં અમને મેડિકલ જર્નલ પ્રકાશિત કરતી વિખ્યાત સંસ્થા લેન્સેટ તથા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશનનું એક સંશોધન મળ્યું. જાન્યુઆરી, 2023માં પ્રકાશિત થયેલી આ સ્ટડીનું ટાઇટલ છે… “ઓછા પ્રમાણમાં દારૂનું સેવન કરો તો પણ આરોગ્ય અને કેન્સરનું જોખમ” WHOની વેબસાઇટ પર ડિટેલમાં ઉપલબ્ધ આ જર્નલમાં સ્પષ્ટ લખ્યું છે કે દારૂના સેવનથી થતા જોખમો અને નુકસાનનું પદ્ધતિસરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું. WHOના તાજેતરના અંદાજ મુજબ, 2016માં વૈશ્વિક સ્તરે દારૂના સેવનથી 30 લાખ લોકોના મોત થયા હતા. વિશ્વભરમાં રોગ અને ઇજા કારણે થયેલા કુલ મૃત્યુમાં આ દર 5.1% હતું. દારૂનું સેવન ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓના વધતા જોખમ સાથે જોડાયેલું છે. દારૂનું વ્યસન લિવર અને માનસિક સ્વાસ્થ્ય સહિત અનેક બીમારીનું કારણ બની શકે છે. દારૂનો ઉપયોગ અકાળ મૃત્યુ માટેના મુખ્ય જોખમી પરિબળોમાંનો એક છે. 20-39 વર્ષની વયના લોકોના કુલ મૃત્યુના 13.5% મૃત્યુ દારૂને કારણે થાય છે. ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર મુજબ, દારૂ એક ઝેરી, સાયકોએક્ટિવ (મન પર અસર કરનાર) અને વ્યસની બનાવતો પદાર્થ છે અને તે 'ગ્રુપ 1' કાર્સિનોજન (કેન્સરકારક તત્વ) છે જે અન્નનળી, લિવર, કોલોરેક્ટલ અને સ્તન કેન્સર સહિત સાત પ્રકારના કેન્સર સાથે કારણભૂત છે. વૈશ્વિક સ્તરે દર વર્ષે કેન્સરના 7 લાખ 40 હજાર નવા કેસો દારૂના સેવન સાથે સંકળાયેલા હોય છે. યુરોપિયન યુનિયનમાં હળવાથી મધ્યમ દારૂનું સેવનથી (દરરોજ 20 MLથી ઓછો દારૂ, જે અઠવાડિયા દીઠ અંદાજે 1.5 લિટરથી ઓછી વાઇન, 3.5 લિટરથી ઓછો બિયર અથવા 450 MLથી ઓછી સ્પિરિટ) 2017માં કેન્સરના લગભગ 23,000 નવા કેસો જવાબદાર હતા. દારૂના હળવાથી મધ્યમ સેવન (દરરોજ 10 MLથી ઓછો દારૂ)ને કારણે થતા કેન્સરના ત્રીજા ભાગના (અંદાજે 8,500 કેસ) હતા. દારૂની પરમિટના નિયમો જ વિચિત્રગુજરાત સરકારના દારૂની પરમિટ આપવા માટેના ક્રાઈટેરિયા પણ ઘણા જ વિચિત્ર અને એકબીજા નિયમોનો છેદ ઉડાવે છે. જેમ કે, દારુ પીવાથી ઉંઘ આવી જાય કે અન્ય બીમારી દૂર થઈ જાય એવા કારણોથી પરમિટ આપવામાં આવે છે. પણ વાસ્તવિકતા એ છે કે દારુ પીવાથી આ પ્રકારની બીમારી દૂર થઈ જાય છે અથવા તો તેમાં રાહત મળી જાય છે એવી કોઈ શોધ મેડિકલ સાયન્સમાં થઈ નથી. એનાથી ઉલ્ટુ, દારુની બોટલો પર પણ દારુ પીવાથી તબીયતને નુકસાન થઈ શકે છે એવી ચેતવણી પણ લખેલી હોય છે. આટલું જ નહીં, અરજદારની વાર્ષિક આવક 6 લાખ સુધીની હોવી જોઈએ. કોઈ અરજદારને અનિંદ્રા કે આવી જ કોઈ અન્ય સમસ્યા છે પણ તેની આવક 6 લાખથી ઓછી હોય તો પરમિટ મળી શકતી નથી. ગુજરાતમાં જે પણ કાયદાઓ છે તે તમામ શહેરો-ગામડાઓમાં એક સરખા જ લાગુ થાય એ વ્યવહારુ બાબત છે. પણ દારુ પીવાની પરમિટ લેવાના કાયદામાં કેટલાય શહેરોમાં તફાવત જોવા મળે છે. જેમકે પરમિટ માટેની જે સત્તાવાર ફી ભરવાની થાય છે તે રકમ અલગ-અલગ શહેરોમાં એકસરખી નથી. અમદાવાદમાં 20 હજાર રૂપિયા ભરવા પડે છે તો અન્ય શહેરોમાં આ રકમ ઘણી ઓછી થઈ જાય છે. ફીની રકમમાં આટલો તફાવત કેમ રાખવામાં આવે છે? તેની પાછળનું લોજીક શું? અને કેવું છે? તેનો જવાબ સિનિયર અધિકારીઓ પાસે પણ નથી. સરકારનું મેડિકલ બોર્ડ અને ડૉક્ટરોના નિયમો જ એકબીજાનો છેડ ઉડાવી રહ્યા છે. જેમ કે, કોઈપણ ખાનગી ફિઝિશિયન એવી વ્યક્તિને મેડિકલનું સર્ટિફિકેટ આપે છે કે જેમને ઉંઘ ન આવતી હોય, વધુ બ્લડપ્રેશર રહેતું હોય, ખૂબ જ તણાવ હોય અથવા તો હૃદય સંબંધિત બીમારી હોય. આ સર્ટિફિકેટ મળ્યાના થોડા દિવસમાં જ અન્ય એક ડૉક્ટર આપે કે આ વ્યક્તિ ફિઝિકલી ફીટ છે, તેમની માનસિક સ્થિતિ પણ સારી છે, તેમજ તે હિંસા કરે એમ લાગતું નથી, ઉપરાંત તેને કોઈ પણ પ્રકારના ડ્રગ્સનું કે તે સંબંધિત કેફી દ્રવ્યોનું કોઈ જ વ્યસન નથી. આમ, એક તરફ મેડિકલ ક્ષેત્રની વૈશ્વિક સ્તરની સંસ્થાઓનું માનવું છે કે દારૂથી બીમારી દૂર ન થાય, ઉલટાનું એ શરીરને બીમારીનું ઘર બનાવે છે. છતાં ગુજરાતમાં હેલ્થ પરમિટના નામે દાયકાઓથી દારૂ પીવાની છૂટ અપાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 6:00 am

પંગુની ઉતરમની ઉજવણી કરાઈ:તમિલ સમાજે પંગુની ઉત્તિરમ પર્વે ભગવાન કાર્તિકેયના લગ્ન યોજ્યા

વડોદરામાં તમિલ સમાજ દ્વારા મંગળવારે પંગુની ઉત્તિરમ પર્વની ઉજવણી કરાઈ હતી. મંગળવારે 56મી પંગુની ઉત્તિરમ કાવડ યાત્રાનું આયોજન ભક્તિ, ઉત્સાહ અને સાંસ્કૃતિક ભવ્યતા સાથે કરવામાં આવ્યું હતું, જેમાં 2 હજારથી વધુ ભક્તો જોડાયા હતા. મંગળવારે સાંજે ભગવાન કાર્તિકેયના લગ્નનું પણ આયોજન કરાયું હતું. શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 55 વર્ષથી આ યાત્રાનું આયોજન કરાય છે. આ પ્રસંગે નાદસ્વરમ અને ચેંડા મેલમ (દક્ષિણ ભારત અને કેરળના પરંપરાગત વાદ્યો)ની મધુર ધૂન વચ્ચે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા સવારે 6:30 વાગ્યે સુરસાગર તળાવથી શરૂ થઈને સ્ટેશન રોડ પર આવેલા શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર સુધી પહોંચી હતી. મંદિરમાં ભગવાનનો દૂધથી અભિષેક કરાયો હતો. મહારાણી લક્ષ્મી સાથે તમિલ લોકો વડોદરા આવ્યા હતાવડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા લગભગ 100 વર્ષ પહેલા રેલવે સ્ટેશન પાસે તમિલ સમાજને અપાયેલી જમીન પર સ્થાપિત શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર આજે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના પ્રથમ પત્ની લક્ષ્મીબાઈ હતા. તેઓ દક્ષિણ ભારતના તાંજોર વિસ્તારમાં ઉછર્યા હતા. તેમના લગ્ન સમયે તેમની સાથે ઘણા તમિલ લોકોને વડોદરા લઈને આવ્યા હતા. જે બાદ વડોદરામાં તમિલ લોકો સ્થાયી થયા હતા.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:54 am

500 વર્ષ જૂનું અલૌકિક હનુમાન મંદિર:ખાડો ખોદતાં ધન મળ્યું, ફરી કાળી ચૌદશે ખાડામાંથી હનુમાનજીની મૂર્તિ મળી, રોકડનાથ તરીકે ઓળખાયા

સમર્પિત ભક્તિનું રોકડું ફળ આપનારા વડોદરાના રોકડનાથ હનુમાનદાદા. રોકડનાથ હનુમાન મંદિર નવાબજાર અને બાજવાડા વિસ્તારને જોડતા માર્ગ પર આવેલું છે. આ મંદિર મોગલકાળ પહેલાંનું એટલે કે 500થી વધુ વર્ષ જૂનું હોવાનું મનાય છે. આ અંગે રોકડનાથ હનુમાન મંદિરના રોનકગીરી કૈલાસગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 12-13 પેઢીથી ગોસ્વામી મહંતો મંદિરમાં હનુમાન દાદાની સેવામાં છીએ. આ હનુમાન દાદાની પ્રતિમા ધરતીમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલી હોવાનો ઉલ્લેખ છે. એવું માનવામાં આવે છે કે, એક શ્રમિકને ભક્તિનું ફળ આપવા રોકડનાથ દાદા પ્રગટ્યા હતા. મહંત કૈલાસગીરી ગોસ્વામીએ તેમની પ્રાગટ્ય કથા આલેખી છે. તે પ્રમાણે એક ભક્તિભાવ ધરાવતો શ્રમિક હતો. કોટ વિસ્તારમાં ખાડો ખોદતાં શ્રમિકને થોડું ધન મ‌ળ્યું. શ્રમિકે તેમાંથી પરિવાર માટે જરૂરી વસ્તુ ખરીદી અને બાકીના ધનનો ઉપયોગ જરૂરિયાતમંદ માટે કર્યો હતો. ધન તેરસના દિવસે શ્રમિકને વધુ ઊંડો ખાડો ખોદવાનો વિચાર આવ્યો અને સાથીઓ સાથે મળીને ખોદકામ શરૂ કર્યું હતું. જોકે તેઓને જમીન ખોદવામાં નિષ્ફળતા મળતાં શ્રમિકે જાતે કોદાળી લઇ ખોદવાનું શરૂ કર્યું અને કાળી ચૌદશે જમીનમાંથી સિંદૂરવર્ણી હનુમાન દાદાની પ્રતિમા મળી આવી હતી. શ્રમિકને ભક્તિનું રોકડમાં ફળ આપનારા આ હનુમાન દાદાને રોકડનાથ હનુમાન દાદાનું નામ મળ્યું. વડોદરાના ગરબામાં રોકડનાથ હનુમાન દાદાનો ઉલ્લેખ1857ના વડોદરાના ગરબામાં પણ રોકડનાથ હનુમાન દાદાનો ઉલ્લેખ કરાયો હતો. આ મંદિરમાં માતા અંજનાદેવી અને પુત્ર મકરધ્વજ પણ એક ગર્ભ ગૃહમાં બિરાજમાન છે. આ મંદિર શહેરનાં વિવિધ પ્રાચીન હનુમાન મંદિર પૈકીનું એક મનાય છે. હનુમાન જયંતીના કાર્યક્રમો

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:52 am

વિવાદ:કોર્ટના નિર્ણય વિરુદ્ધ બીસીએની એપેક્ષ બેઠક બોલાવાયાનો આક્ષેપ

બીસીએની ચૂંટણીમાં 4 ઉમેદવારને હાઈકોર્ટે ગેરલાયક ઠેરવ્યા હતા, જે મામલો પેન્ડિંગ છે. દરમિયાન હાલના સેક્રેટરીએ એપેક્ષ સભ્યોને મિટિંગ માટે બોલાવતાં વિવાદ થયો હતો. રોયલ-સત્યમેવ જયતે ગ્રૂપના સભ્યોએ કોર્ટના નિર્ણય વિરુદ્ધ અને ખોટી રીતે મિટિંગ બોલાવ્યાના આક્ષેપ કર્યા હતા. કોર્ટના ઓર્ડરમાં ઉલ્લેખ હતો કે, નવી ઓફિસ બેરરની બોડી ન બને ત્યાં સુધી હાલની એપેક્ષ બોડી ફક્ત કેરટેકર તરીકે કામ કરશે. જોકે એપેક્ષ સભ્યોને ઈ-મેલ કરી 3 એપ્રિલે સાંજે 4 વાગે મિટિંગ માટે બોલાવાયા છે. જોકે તેમાં કોઈ એજન્ડા જણાવ્યો નથી. જ્યારે હાલ જે એપેક્ષ બોડીમાં છે અને ચૂંટણી લડી ચૂક્યા છે, તેમને આમંત્રણ અપાયું નહોતું. બીજી બાજુ રોયલ-સત્યમેવ જયતે ગ્રૂપે કહ્યું કે, એપેક્ષની મિટિંગ બોલાવવાની જરૂર જ નથી. આ કોર્ટની અવગણના છે. બીસીએના અન્ય સભ્યોએ કહ્યું કે, ક્રિકેટિંગ માટે મળી રહ્યા છીએ. છેલ્લી એપેક્ષ મિટિંગ 2 જાન્યુઆરીએ મળી હતી. લાંબા સમયથી મિટિંગ રખાઈ નહોતી, કોર્ટના હુકમ અને નિયમ મુજબ જ કામ કરીશુંરોજિંદા ખર્ચ મંજૂર કરવાના છે. એજન્ડા નક્કી કરી આગળની મિટિંગ થશે. કોર્ટના હુકમ-નિયમ મુજબ કામ કરીશું.> અજિત લેલે, સેક્રેટરી, બીસીએ એપેક્ષની મિટિંગ બોલાવવી એ ખોટું છે,અમારો વિરોધ છેકોર્ટના નિર્ણય વિરુદ્ધ એપેક્ષની મિટિંગ બોલાવી છે. અમે તેના વિરોધમાં છીએ. આ તદ્દન ખોટું છે. > ડૉ.દર્શન બેંકર, પ્રમુખ પદના ઉમેદવાર, બીસીએ

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:42 am

8 કલાકની મુસાફરી હવે 60 મિનિટમાં:8 સીટર વિમાની સેવા શરૂ થશે,4 હજારમાં વડોદરાથી દીવ,પોરબંદર અને ભૂજ જવાશે

આગામી દિવાળી અગાઉ વડોદરાથી દીવ એક કલાકમાં કે દ્વારકાધીશ મંદિરે બે કલાકમાં પહોંચી જવાય કે કચ્છના રણોત્સવમાં 3 કલાકમાં હાજરી આપી શકાય તે કલ્પના સાકાર બને તેવી પૂરેપૂરી શક્યતા છે. કારણ કે વડોદરા એરપોર્ટથી આ વર્ષે ઓક્ટોબરમાં એર ટેક્સીની ફ્લાઇટ શરૂ થવાની છે. ઉડાન સ્કીમ અંતર્ગત વિમાની ઓપરેટર કંપનીને મંજૂરી અપાઇ છે. હવે કેટલીક ઔપચારિકતા બાકી છે. આ સેવા અંતર્ગત વિમાનમાં 8 મુસાફરો હવાઇ સફર કરી શકશે. એટલું જ નહીં ટિકિટના દર આકર્ષક રખાશે. આ સેવા શરૂ કરાતાં સૌરાષ્ટ્ર અને વડોદરાના ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનને રોકાણ કરવા માટે અનુકૂળતા ઊભી થશે. ઉડાન (ઊડે દેશ કા આમ નાગરિક) અંતર્ગત સરકારે પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવા પર ભાર મૂક્યો છે. જેમાં સરકાર વાયાબિલિટી ગેપ ફંડિંગ આપશે એટલે વિમાની ભાડું સામાન્ય નાગરિકને પણ પરવડશે. ઉલ્લેખનીય છે કે, અત્યારે અમદાવાદ, સુરતથી દીવની ફ્લાઇટ છે, પણ વડોદરાથી પણ સુવિધા શરૂ થતાં શહેરના પ્રવાસન, બિઝનેસ, ઉદ્યોગો અને મેડિકલ ટુરિઝમને વેગ મળશે. ઉડાન કાફે શરૂ કરવા પણ મંજૂરી મગાઈ છેવડોદરાથી ભૂજ, દીવ અને પોરબંદર માટે 8 સીટર વિમાનોની મંજૂરી અપાઇ છે. જે મળતાં જ સૌરાષ્ટ્ર-ક્ચ્છ અને વડોદરા વચ્ચે હવાઇ વહેવાર શરૂ થશે. ઉપરાંત ઉડાન કાફે માટે પણ મંજૂરી મગાઈ છે. એ મળે તો એરપોર્ટના અંદરના ભાગે રૂા.10માં ચા, રૂા.20માં સમોસા મળી શકશે. > એમ.એસ.આઇ દાઉદ, એરપોર્ટ ડાયરેક્ટર, વડોદરા કસ્ટમર સરવેમાં વડોદરાને બીજા ક્રમ માટે એવોર્ડ મળ્યોદેશભરનાં એરપોર્ટમાં ગ્રાહકોને અપાતી સુવિધામાં વડોદરા એરપોર્ટને દેશમાં (કેટેગરી-2)ના એરપોર્ટમાં બીજું સ્થાન મળ્યું હતું. જેનો ઇનામ વિતરણ સમારોહ નવી દિલ્હીમાં 31 માર્ચે યોજાયો હતો. જેમાં વડોદરાના એરપોર્ટ ડાયરેક્ટર એમએસઆઇ દાઉદને એએઆઇના ચેરમેને એવોર્ડ આપ્યો હતો. જ્યારે મંગળવારે સેવા દિનની ઉજવણી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એએઆઇ ડે અંતર્ગત કરાઈ હતી. જેમાં બીએપીએસ શાસ્ત્રી મહારાજ હોસ્પિટલ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેનું ઉદઘાટન કાર્યકારી એરપોર્ટ ડાયરેક્ટર આર.ડી.સેન્ડ્રે દ્વારા કરાયું હતું. ભૂજ દીવ પોરબંદર

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:42 am

સત્તા માટે નહીં‎ સમસ્યાના ઉકેલ માટે મતદાન‎:ચૂંટણીની તૈયારી માટે માત્ર 25 દિવસનો સમય, અગાઉ 36 દિ'' મળ્યા''તા‎

જામનગર-દેવભૂમિ સહિત રાજયમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાની ચુંટણીની જાહેરાત થઇ ચુકી છે.જે મુજબ 26મી એપ્રિલના રોજ મતદાન બાદ 28મી એપ્રિલના રોજ મત ગણતરી હાથ ધરાશે. આ વખતી ચૂંટણીમાં સૌથી મહત્વની બાબત એ છેકે,ચુંટણીની જાહેરાત માંડી પરીણામ જાહેર થવા સુધી માત્ર 25 દિવસનો સમયગાળો મળે છે.જે ગત વખતની ચુંટણી કરતા 11 દિવસનો ઓછો ગાળો છે. મળતી વિગત અનુસાર આ વખતે જે સંસ્થામાં ચુંટણી યોજાઇ રહી છે. તેમાં છેલ્લે 2021ના વર્ષમાં ચુંટણી યોજાઇ હતી.જે તે વખતે 23 જાન્યુઆરી 2021ના રોજ ચુંટણીની જાહેરાત થઇ હતી અને 28 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાયુ હતુ.મતલબ બંને વચ્ચે 36 દિવસનો સમયગાળો હતો. જયારે આ વખતે 1લી એપ્રિલના રોજ ચુંટણીની જાહેરાત થઇ છે અને 26 એપ્રિલના રોજ મતદાન યોજાવાનુ છે.આમ માત્ર 25 દિવસ જ મળી રહયા છે.અથાર્ત ઉમેદવાર પસંદગી, ફોર્મ ભરવા, પ્રચાર-પ્રસાર અને અન્ય તૈયારી માટે માત્ર 25 દિવસનો સમયગાળો મળી રહયો છે. રાજય ચુંટણી પંચ દ્વારા જામ્યુકોના 16 વોર્ડની 64 બેઠક માટે સામાન્ય ચુંટણીની જાહેરાત કરી દેવાઇ છે જેમાં તા.26મી એપ્રિલના રોજ મતદાન યોજાશે.ચુંટણીની જાહેરાત સાથે આચારસંહિતા અમલી બની છે.જે સાથે ચુંટણી સંબંધિત પ્રક્રિયાનો પણ પ્રારંભ કરી દેવાયો છે.રાજકીય પક્ષો દ્વારા પણ પુરજોશમાં કવાયત આદરી દેવાઇ છે. કોંગ્રેસ દ્વારા અગાઉ સેન્સ લેવાઇ હતી.જયારે આપ દ્વારા જુદા જુદા વોર્ડ માટે 19 ઉમેદવારોની પસંદગી જાહેર કરી દેવાઇ છે.ભાજપ દ્વારા ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા બાદ ગુરૂવારે સેન્સ લેવાશે. મનપાની ચુંટણી માટે મતદારોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. ચુંટણી માટે પ્રાથમિક મતદાર યાદી જાહેર કરાઇ હતી.જેમાં જુદા જુદા 16 વોર્ડમાં 23મી માર્ચની સ્થિતિએ 4,42,841 મતદાર નોંધાયા હતા 2021ની ચુંટણીમા઼ મતદારોની સંખ્યા 4,88,996 હતી. જામ્યુકોમાં ત્રણ દશકાથી ભાજપ સત્તાનશીન,ચાલુ વર્ષે ત્રિપાંખીયો જંગ જામ્યુકોમાં ગત ટર્મમાં 64 પૈકી 50 બેઠક સાથે ભાજપને સંપૂર્ણ બહુમતિ મળી હતી.જયારે કોંગ્રેસને 11 અને બસપાને ત્રણ બેઠક મળી હતી.જામનગર શહેરમાં લગભગ 1995થી ભાજપને બહુમતિ મળતી આવે છે.આમ, સતત છ ટર્મથી ભાજપનુ એકહથ્થુ(એક અપવાદ) સિવાય શાસન રહયુ છે.આગામી ચુંટણી માટે પણ ભાજપ દ્વારા કવાયત શરૂ કરાઇ છે.જોકે, કોંગ્રેસ દ્વારા અગાઉ સેન્સ પ્રક્રિયા બાદ આમ આદમી પાર્ટી દ્વારા પણ જુદા જુદા વોર્ડના દોઢ ડઝન ઉમેદવારના નામો પણ જાહેર કરી દેવાયા છે.મનપામાં એન્ટી ઇન્કમબન્સી સહિત ભ્રષ્ટાચાર-કૌંભાડોના વિપક્ષના છેલ્લા કેટલાક સમયથી અવિરત આક્ષેપો વચ્ચે ભાજપા માટે સરળતાથી જનાદેશ આદેશ મેળવવો અધરો બની રહેશે એવુ રાજિકય પંડિતો માની રહયા છે..જેમાં નવા સિમાંકન સહિતની બાબતો પણ અસરકર્તા રહેશે એમ મનાય છે.ખાસ કરી વિપક્ષના પરંપરાગત વોર્ડના ગઢમા ગાબડુ પાડવુ અધરૂ ગણાશે. જોકે, તમામ વોર્ડના ઉમેદવારો જાહેર થયા બાદ જ ચિત્ર મહદઅંશે સ્પષ્ટ થશે. મનપા માટે ભાજપમાં દાવેદારોનો રાફડો, 1550થી વધુ ફોર્મ ભરાયા શહેરના 16 વોર્ડની 64 બેઠક માટે યોજાનારી ચુંટણીને અનુલક્ષી ભાજપ દ્વારા બુધવારે હાથ ધરાયેલી પ્રક્રિયા અનુસાર વિવિધ વોર્ડ માટે કાર્યાલય ખાતેથી ઉમેદવારી ફોર્મનુ વિતરણ શરૂ કરાયુ હતુ.જેમાં મોડી સાંજ સુધીમાં તમામ વોર્ડની 64 બેઠક માટે 1550થી વધુ ઉમેદવારી પત્રો(દાવેદારો) મળ્યા હોવાનુ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.આમ, સત્તારૂઢ પક્ષના સભ્ય પદ માટે ઉમેદવારો રેકર્ડબ્રેક સંખ્યામાં ઉમટી પડયા હોવાનુ ચિત્ર ઉપસ્યુ છે. જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠક, છ તાલુકા પંચાયતની 112 બેઠક ઉપરાંત સિકકા નગરપાલિકાની 28 બેઠક માટે ચુંટણીની જાહેરાત થઇ છે.જિ.પં.ની ચુંટણીના અનામત રોટેશનમાં 50 ટકા સ્ત્રી અનામત જાહેર થયુ છે.જેના કારણે અમુક મોટા માથા જે તે બેઠક પર ચુંટણી નહી લડી શકે.જેના પગલે પરીવારના મહિલા સદસ્યોને મેદાને ઉતારવા સાથે જરૂર પડે બેઠક બદલવા માટે કવાયત આદરી દિઘી છે.જિ.પં.ની ગત ટર્મના અમુક પદાધિકારીઓ પર બેઠક બદલવા માટે મજબુર બન્યાનુ ચિત્ર ઉપસ્યુ છે. કઇ કઇ સંસ્થામાં ચૂંટણી... જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો. { જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો. { સિકકા નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠકો. { જામનગર તા.પ.- 26, ધ્રોલ-જોડિયા તા.પં. 16-16, કાલાવડ, લાલપુર અને જામજોધપુર તા.પં. માં 18-18 બેઠકો.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

ધર્મોત્સવ:છોટીકાશી જામનગરમાં તામિલ લોકો દ્વારા કાર્તિક ભગવાનની પંગુલ ઉજવણી અંતર્ગત શોભાયાત્રા

છોટીકાશી તરીકે ઓળખાતા જામનગરમાં દેશના તમામ રાજ્યના તહેવારો ધર્મભાવ સાથે ઉજવવામાં આવે છે. ત્યારે ભગવાન અયપ્પા સ્વામીની જયંતી નિમિતે દક્ષિણ ભારતીય સમુદાય અને સ્થાનિક શ્રધ્ધાળુઓ દ્વારા અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. તામિલ લોકો બુધવારના સવારમાં પીળા વસ્ત્રો પરિધાન કરીને કાર્તિક ભગવાનની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. જેમાં શહેરના પંચેશ્વર ટાવરથી લઈને પદયાત્રા જુના રેલ્વે સ્ટેશન પાસે આવેલા કાર્તિક સ્વામીના મંદિરે યાત્રા પુર્ણ થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં તામિલ લોકો ઉપરાંત સ્થાનિક શ્રધ્ધાળુઓ પણ જોડાયા હતા. આ યાત્રામાં કાર્તિક સ્વામીની પાલખી પણ હોય અને તામિલ લોકોએ પોતાની ભાષામાં જય જય કારા તેમજ ભજન-કીર્તન સાથે કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયા તેમાં તામિલ લોકો પોતાની માનતાઓ પણ ઉતારતા હોય છે, જેમાં ગાલમાંથી સળીયા તેમજ જીભમાં સોય સહિત રાખીને યાત્રામાં કાર્તિક સ્વામીના મંદિર સુધી પહોંચે છે. પરંતુ આ વર્ષે આવા મનતવાળા ઓછા લોકો હતાં. પરંતુ અન્ય શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તો મહિલાઓ માથે કળશ ઉપાડીને આ યાત્રામાં જોડાઈ હતી. આ યાત્રા કાર્તિક સ્વામીના મંદિરે પહોંચી ત્યાં સાંજના મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં તામિલ લોકોએ લાભ લીધો હતો. જેમાં શહેર ઉપરાંત ખાનગી કંપનીઓમાં નોકરીઓ કરતા પણ અમુક તામિલ લોકો આ યાત્રામાં જોડાઈને ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

ફરિયાદ:જામનગરમાં પત્નીને પુત્રી સાથે મૂકી ત્રાસ આપતા પતિ-સાસુ

જામનગર શહેરના એક પરિણીતાને પુત્રી સાથે એકલા મૂકી દઈ પતિ જૂનાગઢ જિલ્લામાં રહેતા માતા સાથે રહેવા ચાલ્યા ગયા હતા, જે પછી પરિણીતાને પતિ તથા સાસુ અવારનવાર કોલ કરી ચાલચલગત વિશે ગાળો ભાંડી ત્રાસ આપતા હોવાથી તેણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. શહેરના ઢીંચડા રોડ પર સેનાનગર નજીક ગ્રીન પાર્કમાં માધુરીબેન બાલસ (ઉ.વ.24) નામની યુવતિના હસમુખભાઈ અરશીભાઈ બાલસ નામના યુવાન સાથે લગ્ન થયા હતા. લગ્ન થયા પછી આ દંપતીને પુત્રીની પ્રાપ્તિ થઈ હતી. તે દરમિયાન સાતેક મહિના પહેલાં હસમુખભાઈએ પત્નીને મારઝૂડ કરી હતી અને પત્ની તથા પુત્રીને મૂકી આ યુવાન જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકા વડાળા (ઘેડ) ગામમાં રહેતા માતા ધીરીબેન અરશીભાઈ સાથે રહેવા ચાલ્યા ગયા હતા. ત્યારપછી એકલા રહેતા માધુરીબેનને અવારનવાર મોબાઈલ પર કોલ કરી ચાલચલગત અંગે ગાળો ભાંડી હસમુખભાઈ તથા સાસુ ધીરીબેને ત્રાસ આપતા આ પરિણીતાએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે પતિ અને સાસુની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે. આ બનાવના પગલે જામનગર શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

ફરિયાદ:દડિયામાં ઈંટના ધંધાર્થી સાથે 75 હજારનું ચીટીંગ

જામનગર તાલુકાના દડિયામાં ઈંટનો ભઠ્ઠો ચલાવતા આસામીને કોલસી આપવાનો વાયદો કરીને સુરેન્દ્રનગરના ચાંદળીયા ગામના શખ્સે રૂ।.75 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈને ત્રણ મહિનાથી કોલસો કે પૈસા પરત ન આપીની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. શહેરના રણજીત સાગર રોડ પર પટેલ પાર્કમાં રહેતા અને ઈંટનો ભઠ્ઠો ચલાવતા સુનિલભાઈ નાનજીભાઈ ચાવડા નામના પ્રૌઢને ઈંટના ભઠ્ઠામાં કોલસીની જરૂર પડતી હોય છે, જેથી તેઓ અવાર-નવાર કોલસીની ગાડી મંગાવતા હોય છે. તેઓને સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ચાંદળીયા ગામના રામ ભરવાડ સાથે સંપર્ક થયો હતો. બંને વચ્ચે વાતચીત થયા પછી સુનિલભાઈએ ત્રીસેક ટન જેટલો ઓપન કટીંગનો કોલસો પોતાના ધંધાના કામે જોઈતો હોવાની વાત કરી હતી. રામ ભરવાડે સસ્તામાં કોલસો અપાવી દેશે તેવી વાત કરી હતી. તે પછી ગઈ તા.10 ડિસેમ્બરની રાત્રે દડીયા ગામમાં પોતાના ઈંટના ભઠ્ઠે હાજર સુનિલભાઈને રૂ।.4300ના ભાવે એક ટન કોલસો આપવાનું કહી રૂ।.75 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી આપવા ફોન કર્યો હતો. જે બાદ આરોપી રામ ભરવાડે કોલસો ન મોકલાવી અને પૈસા પણ પરત ન આપીને છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

હનુમાન જન્મોત્સવ:રાંચરડાના મંદિરે સુંદરકાંડ પાઠ, યુનિ. પાસેના કષ્ટભંજન મંદિરે દિવ્યાંગજનો ભજનો ગાશે

ગુરુવારે રામભક્ત શ્રી હનુમાનજીની જન્મજયંતી નિમિત્તે શહેરનાં હનુમાન મંદિરોમાં મારુતિ યજ્ઞ, સુંદરકાંડ પાઠ, રામધૂન સહિતના કાર્યક્રમો યોજાશે. બુધવારે કેમ્પ હનુમાન મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી. તેમાં પરંપરાગત સજાવટ કરેલા રથ સાથે 11 ટેબ્લો રજૂ કરાયા હતા. આ વર્ષે ‘ઓપરેશન સિંદૂર’ના ટેબ્લોએ સૌનું આકર્ષણ જમાવ્યું હતું. યાત્રામાં ભક્તોએ ‘જય શ્રીરામ અને જય હનુમાન’ના નારા લગાવી ભક્તિમય માહોલ ઊભો કર્યો હતો. યાત્રાના દર્શનાર્થે લોકોની ભારે ભીડ ઊમટી હતી. આજે ક્યાં શું? કેમ્પ હનુમાન મંદિર સવારે 7 વાગે વિશેષ આરતી 8 કલાકે સુંદરકાંડ પાઠ 12 કલાકે અન્નકૂટ દર્શન 1 કલાકે ભંડારો રાંચરડાના સૂતા હનુમાન સવારે વિશેષ આરતી સાંજે 6 વાગે સુંદરકાંડના પાઠ સાંજે 8 વાગે વિશેષ આરતી કષ્ટભંજન મંદિર યુનિવર્સિટી સવારે 7.30થી 1 વાગ્યા સુધી હવન બપોરે 12 વાગે હવન સાંજે દિવ્યાંગ કલાકારો દ્વારા ભજનસંધ્યા નાગરવેલ હનુમાન મંદિર સવારે 5 વાગે વિશેષ આરતી કરાશે 12 વાગે હવન યોજાશે દિવસ દરમિયાન આવતા ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા સાંજે મહાઆરતી ડભોડા હનુમાન મંદિર સવારે 7 વાગે હવન-પૂજા 10 વાગે આરતી 12 વાગે ભંડારો અંજની માતા મંદિર સાંજે મહાઆરતી રાત્રે સુંદરકાંડના પાઠ માતા અંજની સાથે બિરાજિત હનુમાનજીનું મંદિરથલતેજ ટેકરા પાસે દૂરદર્શન ચાર રસ્તા પાસેના 100 વર્ષ પ્રાચીન અંજની માતા-હનુમાન મંદિર ખાતે ગુરુવારે હનુમાન જન્મોત્સવ ઉજવાશે. મંદિરની ખાસિયત એ છે કે અહીં હનુમાનજી સાથે તેમનાં માતા અંજનીજીની પ્રતિમા પણ છે, આથી આ સ્થળ રાજ્યનાં દુર્લભ મંદિરોમાંનું એક ગણાય છે. મંદિર દ્વારા નિયમિત પૂજા-અર્ચના સાથે સેવાકીય પ્રવૃત્તિ પણ કરાય છે. મહંત વિજયદાસજી મહારાજની આગેવાની હેઠળ દર વર્ષે ઉજવાતા જન્મોત્સવમાં આ વર્ષે પણ વહેલી સવારથી માંડી રાત સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. હનુમાન જયંતીના દિવસે સવારે અભિષેકથી શરૂઆત થઇ, મંગળા આરતી, મારુતિ હવન, ધ્વજારોહણ અને શ્રીફળ હોમના કાર્યક્રમ યોજાશે. સાંજે સંધ્યા આરતી અને મહાપ્રસાદ બાદ ભક્તિમય વાતાવરણમાં સુપ્રસિદ્ધ લોક કલાકાર રાજભા ગઢવીનો સંતવાણી અને ડાયરો યોજાશે. બોપલમાં જન્મોત્સવનું ભવ્ય આયોજનબોપલના સરકારી ટ્યુબવેલ વિસ્તારમાં ભીડભંજન હનુમાન મંદિરે સવારે 10:30થી 4:30 વાગ્યા સુધી હવન યોજાશે. બપોરે 4:30 વાગ્યે શ્રીફળ પૂજન થશે. સાંજે 6થી રાતના 10 વાગ્યા સુધી સુધી પ્રીતિ ભોજનનું આયોજન કરાયું છે. આયોજકોએ પહોંચ સિવાય દાન ન કરવા સૂચના આપી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

પરીક્ષા કેન્દ્રોના સીસીટીવીની ચકાસણી:અમદાવાદમાં ધોરણ 10-12 બોર્ડના 36 વિદ્યાર્થી CCTVમાં ચોરી કરતાં પકડાયા

ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષા કેન્દ્રોના સીસીટીવીની ચકાસણી કરવામાં આવે છે. જેમાં અમદાવાદ શહેરમાં ગેરરીતિ કરનારા 36 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયાં છે. ગયા વર્ષ કરતા ચોરી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. ગયા વર્ષે સીસીટીવીના આધારે 22 જેટલા વિદ્યાર્થીઓ ગેરરીતી કરતા પકડાયા હતા. શહેર જિલ્લા શિક્ષણાધીકારી દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ શહેરમાંથી સીસીટીવીના મોનિટરિંગના બાદ ધોરણ 10માંથી 18, ધોરણ 12 સાયન્સમાંથી 6, ધોરણ 12 આર્ટસમાંથી 12 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ કરતા જણાયા હતા. પરીક્ષા પૂરી થયા બાદ ટીમ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી ગેરરીતિ શોધીને એક ફાઇલ તૈયાર કરે છે. નિર્દોષ વિદ્યાર્થી ભોગ બને માટે નંબર શોધવા માટે પણ ખાસ ટેકનિકલ અપનાવવામાં આવે છે. વિદ્યાર્થી આ ગેરરીતિ કરતા CCTVમાં ઝડપાઈ ગયા

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

GST આવકમાં વધારો:ગુજરાતની માર્ચ મહિનાની GST આવકમાં 18%નો વધારો નોંધાયો

રાજ્ય માટે આર્થિક દૃષ્ટિએ સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. માર્ચ 2026 દરમિયાન રાજ્યની GST આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. સત્તાવાર માહિતી મુજબ, માર્ચ 2026માં રાજ્યને GST હેઠળ કુલ રૂ.7,352 કરોડની આવક થઈ છે, જે ગયા વર્ષની સમાન અવધિમાં મળેલ રૂ.6,190 કરોડની સરખામણીએ અંદાજે 18.7 ટકા વધુ છે. આ સમયગાળામાં રાષ્ટ્રીય સ્તરે GST આવકનો વૃદ્ધિ દર માત્ર 8.8 ટકા રહ્યો છે, જ્યારે ગુજરાતે તે કરતાં ઘણી વધારે વૃદ્ધિ નોંધાવી છે. GST સિવાય, રાજ્યને માર્ચ 2026માં વેટ હેઠળ રૂ.2,714 કરોડ, વિજળી શુલ્ક હેઠળ રૂ.1,328 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ રૂ.24 કરોડની આવક થઈ છે. આમ, તમામ મુખ્ય કર સ્ત્રોતો દ્વારા રાજ્યને કુલ રૂ.11,418 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. વાર્ષિક આંકડાઓ પર નજર કરીએ તો નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન રાજ્યને GST હેઠળ કુલ રૂ. 81,410 કરોડની આવક થઈ છે, જે અગાઉના વર્ષ કરતાં 11.1 ટકા વધુ છે. આ સમયગાળામાં પણ રાષ્ટ્રીય વૃદ્ધિ દર 8.3 ટકા રહ્યો છે. આ ઉપરાંત, સમગ્ર વર્ષ દરમિયાન વેટથી રૂ. 32,677 કરોડ, વિજળી શુલ્કથી રૂ.12,493 કરોડ અને વ્યવસાય વેરાથી રૂ.266 કરોડની આવક નોંધાઈ છે. આમ, તમામ સ્ત્રોતો મળી રાજ્યને કુલ રૂ.1,26,846 કરોડની આવક પ્રાપ્ત થઈ છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

લોકોમાં ભયનો માહોલ:ધારીના ઝર ગામે દરગાહ સામે સાવજે ધામા નાખ્યા‎

ધારી તાલુકાના ઝર ગામમાંથી સાવજનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં આસ્થાના સ્થળ સુધી વન્યપ્રાણીની હાજરીથી દર્શનાર્થી ઓના ભયનો માહોલ સર્જાયો હતો. ધારીના ઝર ગામ પાસે આવેલા દાતારની દરગાહ સામે જ સિંહ આરામ ફરમાવતો હતો ત્યારે કોઈએ આ દ્રશ્ય પોતાના મોબાઇલમાં કેદ કર્યું હતું. જેમાં સ્પષ્ટ દેખાય છે કે સિંહ થોડો સમય દરગાહ નજીક નિર્ભય રીતે બેસેલો રહ્યો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આજે ગામના આસ્થા કેન્દ્ર સુધી તેમની હાજરીએ લોકોમાં આશ્ચર્ય સાથે ચિંતા પણ જગાવી છે. આ ઘટના વિસ્તારમાં વધતી જંગલી પ્રાણીઓની ચહલપહલ તરફ પણ ઈશારો કરે છે. વનવિભાગે લોકોને સાવચેતી રાખવા અને સિંહથી સલામત અંતર જાળવવા અપીલ કરી છે. સાથે જ કોઈ પણ પ્રકારની ગભરાટ ન ફેલાવવાની પણ અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

આત્મહત્યાનો પ્રયાસ:ખરાબ વિચારો અને ડરામણા સપનાથી તણાવ અનુભવતી ડુંગરપરડાની યુવતીએ ફિનાઈલ પીધુ

રાજુલા તાલુકાના ડુંગરપરડા ગામે એક યુવતીએ માનસિક તણાવના કારણે ફીનાઇલ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતીને તાત્કાલિક સારવાર માટે મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. રાજુલાના ડુંગરપરડા ગામે રહેતી માયાબેન લાલજીભાઇ બટુકભાઇ સાંખટ (ઉ.વ.25) ને છેલ્લા લગભગ દોઢ મહિનાથી સતત ખરાબ વિચારો અને ડરામણા સપનાઓ આવતા હતા. જેના કારણે તેઓ સતત ગભરામણ અનુભવી રહી હતી. આ પરિસ્થિતિથી કંટાળી જતાં તેમણે ગઈ કાલે રાત્રે આશરે 9:30 વાગ્યે પોતાના ઘરે બાથરૂમમાં રાખેલી ફીનાઇલની બોટલમાંથી ફીનાઇલ પી લીધું હતું. ફીનાઇલ પી લીધા બાદ તેમને ઉલટી અને ઉબકા થવા લાગતા પરિવારજનો તાત્કાલિક તેમને સારવાર માટે મહુવા સ્થિત ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

નગરપાલિકાની બેદરકારી:છેલ્લા દોઢ મહિનાથી ગંદા પાણીનું વિતરણ થતા પાલિકા કચેરીમાં ભારે હોબાળો

બગસરા શહેરના અમરપરા વિસ્તારમાં આવેલ ગંગામૈયા વિસ્તારના રહેવાસીઓ છેલ્લા દોઢ માસથી પાણી પુરવઠાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અહીં પાણીના નળોમાંથી ગટરમિશ્રિત અને દુર્ગંધયુક્ત પાણી આવતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે. પીવાના પાણી માટે લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને આરોગ્ય અંગે પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આ વિસ્તારના સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમયથી અહીં પીવાના પાણી સાથે ગટરનું પાણી પણ વિતરણ થઈ રહ્યું છે, આ સમસ્યા અંગે ઘણી વખત પાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં યોગ્ય પગલાં લેવાયા નથી. ત્યારે તંત્રની ઉદાસીનતા સામે ગુસ્સે ભરાયેલી મહિલાઓએ આજે પાલિકા કચેરીએ પહોંચી હોબાળો મચાવ્યો હતો, અને તાત્કાલિક સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરી આપવાની માંગ સાથે જ્યાં સુધી સમસ્યાનો કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી વિસ્તારમાં પાણીના ટાંકા મૂકી લોકોને પીવાના પાણીની વ્યવસ્થા કરવા મહિલાઓએ જણાવ્યું હતું. જોકે પાલિકા દ્વારા આ માંગ પણ સ્વીકારવામાં આવી ન હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું. જો તાત્કાલિક આ વિસ્તારના લોકો માટે સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી આપી હતી. હાલમાં પાલિકામાં વહીવટદારશાસન ચાલી રહ્યું છે. તે દરમિયાન વહીવટદાર હાજર ન હોવાથી હેડ ક્લાર્ક દ્વારા મહિલાઓને સમજૂતી આપી મામલો શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા શક્ય તેટલી ઝડપથી સમસ્યા ઉકેલવાની ખાતરી આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

નિર્ણય:આકરી ગરમીના પગલે અમરેલી જિલ્લા પ્રા. શાળાના સમયમાં અડધો કલાકનો ઘટાડો

અમરેલીમાં ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળાઓના સમયમાં અડધો કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીઓને બપોરે 12:30 વાગ્યાના બદલે 12 વાગ્યે રજા આપવામાં આવશે. અમરેલીમાં વધતા તાપમાનને લઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની ચિંતા કરતા બાળકોને ભર બપોરે તડકામાં ઘરે પહોંચવામાં મુશ્કેલી પડતી હોવાની બાબતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે એપ્રિલ મહિનાથી પ્રાથમિક શાળાઓનો સમય સવારનો રાખવામાં આવે છે, પરંતુ આ વર્ષે શાળાઓમાંથી છૂટવાનો સમય 12:30 વાગ્યાનો નક્કી કરવામાં આવ્યો હતો. આ બાબતે અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. સંઘના રાજ્ય ખજાનચી મહેન્દ્રભાઈ વિછીયા, જિલ્લા પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા, મહામંત્રી પ્રવીણભાઈ કસવાળા, રસિકભાઈ મહેતા તેમજ વિવિધ તાલુકાના ઘટક સંઘોના પ્રતિનિધિઓએ ગરમીને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓના હિતમાં સમય ઘટાડવાની માંગણી કરી હતી. શિક્ષક સંઘની આ રજૂઆતને ધ્યાને લઈ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે પ્રાથમિક શાળાઓમાં 12:30ના બદલે હવે બપોરે 12 વાગ્યે રજા આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ:અમરેલીના મૃતક વૃદ્ધનું રેડક્રોસ સોસાયટી મારફત દેહદાન કરાયું

માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા અમરેલીમાં વધુ એક દેહદાનનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. મૃત્યુ પછી પણ માનવજાતના કલ્યાણમાં પોતાનો દેહ ઉપયોગી બને તેવા ઉદ્દાત સંકલ્પ સાથે સ્વ. મુકતાબેન ભગવાનજીભાઈ ટાંકનું દેહદાન કરવામાં આવ્યું. અમરેલીના એક સમયના જાણીતા મંડપ સર્વિસ વ્યવસાય સાથે સંકળાયેલા સ્વ. બી.કે. ટાંકના ધર્મપત્ની મુકતાબેનનું અવસાન થયું હતું. જીવિત અવસ્થામાં જ તેમણે અમરેલી રેડક્રોસ સોસાયટી સમક્ષ પોતાના દેહદાનનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમના અવસાન બાદ પરિવારજનોએ તેમની અંતિમ ઈચ્છાને માન આપી અમરેલી રેડક્રોસ સોસાયટીનો સંપર્ક કર્યો હતો. આ સંદર્ભે અમરેલી રેડક્રોસ બ્લડ બેન્કના ઇન્ચાર્જ મધુભાઈ આજુગીયાએ વિવિધ મેડિકલ કોલેજો સાથે સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ આટકોટ મેડિકલ કોલેજને ડેડ બોડીની જરૂરિયાત હોવાથી એમ્બ્યુલન્સ મારફતે સ્વ. મુકતાબેન ભગવાનજીભાઈ ટાંકનો દેહ ત્યાં મોકલી આપવામાં આવ્યો હતો, જેથી તેમનો દેહ તબીબી અભ્યાસ અને સંશોધન કાર્યમાં ઉપયોગી બની શકે. અમરેલી રેડક્રોસ બ્લડ બેન્કના ચેરમેન ડો. ભરત કાનાબારે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી દેહદાન માટે સંકલ્પપત્ર ભરનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સમાજમાં મૃત્યુ પછી પણ પોતાનો દેહ તબીબી શિક્ષણ અને સંશોધન માટે ઉપયોગી બને તેવી ઉન્નત ભાવના વિકસી રહી છે, જે સમાજ માટે ખૂબ જ પ્રેરણાદાયક અને આવકારદાયક બાબત છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

100 ટકા વસુલાત‎:રાજુલા તાલુકાના 4 ગામમાં વીજબીલ બાકીદારો શૂન્ય

રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજબિલની સો ટકા વસુલાત કરી ચાર ગામો એ શૂન્ય બાકીદારીનો મહત્વપૂર્ણ લક્ષ્યાંક હાંસલ કર્યો છે. પીજીવીસીએલના પ્રયાસો, ગ્રામજનના સહયોગ થી ભાક્ષી-1, ભાક્ષી-3, નાના આગરિયા (સમૂહ ખેતી), નેસડી-2 ગામમાં રહેણાંક, ખેતીવાડી તથા ઔદ્યોગિક તમામ વીજ જોડાણોના બિલની સંપૂર્ણ ભરપાઈ થતાં ગામોને ઝીરો લાઇટ બિલનો દરજ્જો મળ્યો છે. રાજુલા તાલુકામાં વીજબિલ ભરપાઈ અંગે જાગૃતિ લાવવા માટે ગામના સરપંચો અને આગેવાનોએ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. જેના પરિણામે આજે સંપૂર્ણ વીજબીલની વસૂલાત PGVCL દ્વારા કરી લેવામાં આવી છે. ભાક્ષી ગામના સરપંચ મંગળુભાઈ ધાખડા, સમૂહખેતી ગામના જીતુભાઈ કસવાળા અને રાજુભાઈ પરસાણા, નેસડી ગામના સરપંચ ગુણવંતભાઈ સાવલિયા તેમજ ભાક્ષી-1 ગામના સુરેશભાઈ વ્યાસ સહિત ગામના આગેવાનો દ્વારા ગ્રામજનોને સમજાવી સમયસર બિલ ભરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેના કારણે આ સફળતા પ્રાપ્ત થઈ શકી છે. સાથેજ પીજીવીસીએલના કર્મચારીઓ એમ.ડી. ખુમાણ, એચ.એમ. સોલંકી, આર.આર. દામોર અને આર.જે. ચૌહાણ સહિતના સ્ટાફે સતત મહેનત કરી હતી. કાર્યપાલક ઇજનેર બી. એમ. પટેલ તથા રાજુલા નાયબ કાર્યપાલક ઇજનેર ના માર્ગદર્શન અને સતત સમજાવટના કારણે આ સફળતા મળી હોવાનું જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

સુવિધા:STના નવા 37 એક્સપ્રેસ રૂટ શરૂ થતાં પેસેન્જરને ભાડામાં રૂ.40 સુધી લાભ થશે

અમદાવાદ એસટી ડિવિઝનને નવી ગુર્જરનગરી બસોનો કાફલો મળતા 37 નવા એક્સપ્રેસ રૂટ શરૂ કરાયા છે. જેમાંથી 10 રૂટ પ્રથમવાર સંચાલિત થશે અને 27 રૂટ પર બસોની સંખ્યા વધારાઈ છે. પુશ-બેક સીટો ધરાવતી આ આધુનિક બસોમાં મુસાફરોને કન્ફર્મ સીટની સુવિધા મળશે. ખાનગી લક્ઝરી બસોના રૂ.800થી રૂ.1200ના ભાડા સામે એસટીમાં માત્ર રૂ.400 થી રૂ.600માં મુસાફરી કરી શકાશે, જેનાથી મુસાફરોના ખિસ્સા પરનો બોજ 40 ટકા સુધી ઘટશે. સુરત માટે સવારે 6:15 અને 7:30 કલાકે નવી સેવા શરૂ થતા નોકરિયાત વર્ગને રાહત મળશે. સાથે જ દ્વારકા, જંબુસર અને ધાનેરા જેવા અંતરિયાળ રૂટો પર કનેક્ટિવિટી વધશે. પેસેન્જરો ઓનલાઇન પોર્ટલ પર એડવાન્સ બુકિંગ કરાવી શકશે. ધાર્મિક-શૈક્ષણિક કનેક્ટિવિટીના મુખ્ય રૂટ રૂટ ઉપડશે પહોંચશે ખાસિયત અમદાવાદથી દ્વારકા 20:30 07:15 યાત્રાળુઓ માટે રાત્રિ સેવા ધોળકાથી અંબાજી 06:45 11:45 ઉ. ગુજરાત સાથે કનેક્ટિવિટી દહેગામથી ભુજ 20:00 05:30 કચ્છ માટે નવી એક્સપ્રેસ સેવા વિજયનગરથી આણંદ 12:30 17:50 એજ્યુકેશન હબ સાથે જોડાણ વિરમગામથી સારંગપુર 07:15 11:00 હનુમાનજીના દર્શન ઉત્તમ સુરત માટે સવારે બે નવા રૂટ શરૂ થશે : અમદાવાદથી સુરત માટે સવારે 6.15 અને 7.30 વાગે નવી બસ શરૂ થતાં નોકરિયાત વર્ગને ફાયદો થશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

સિટી એન્કર:કેન્સર-ડાયાબિટીસ કરતાં ઓટિઝમનું પ્રમાણ વધુ : દર 36માંથી 1 બાળક શિકાર બને છે, ડાયટ-કસરતથી 80% કેસ સુધારી શકાય

2 એપ્રિલે વર્લ્ડ ઓટિઝમ એવરનેસ ડે નિમિત્તે એએમએ ખાતે એક સેમિનારનું આયોજન કરાયું હતું. નિષ્ણાતોનું માનવું છે કે, દર 36માંથી 1 બાળક ઓટિઝમ સાથે જન્મે છે. જે આંકડો કેન્સર કે ડાયાબિટીસ કરતાં પણ વધુ છે, કારણ કે તેમાં બાળકનો સામાજિક વિકાસ પ્રભાવિત થાય છે. ઓટિઝમ કોઈ બૌદ્ધિક મંદતા નહીં પરંતુ મગજના ન્યુરોન્સના વાયરિંગમાં ખામી છે, જેના કારણે બાળક બોલવામાં, પોતાની વાત રજૂ કરવામાં અને આંખોમાં નજર મળાવવામાં પાછળ રહી જાય છે. 18થી 24 મહિનામાં લક્ષણો ઓળખી લેવાય તો 80 ટકા બાળકોમાં યોગ્ય આહાર અને કસરતથી સુધારો શક્ય બને છે, જ્યારે 20 ટકા કેસોમાં જિનેટિક કારણો હોવાથી દવાઓ જરૂરી બને છે. ડૉ. જિગ્નેશ શેઠે કહ્યું કે, શહેરના 100થી વધુ જરૂરિયાતમંદ બાળકો માટે જિનેટિક ટેસ્ટ, થેરાપી અને સારવાર પાછળ દર વર્ષે રૂ. 10 લાખ સુધીની સહાય પૂરી પાડી રહ્યા છે. ઓટિઝમ સ્પેશિયાલિસ્ટ ડો. કેતન પટેલે કહ્યું કે, પશ્ચિમ દેશોની જૂની પદ્ધતિઓ પાછળ દોડવાને બદલે હવે ભારતની પોતાની નવી સારવાર પદ્ધતિ અમલી બનાવવી જરૂરી છે. હોમિયોપેથીથી 90 ટકા સુધી લક્ષ્ણો અટકાવી શકાય છે. ઓટિઝમથી છુટકારો મેળવવા માટેના 5 ઉપાય ડાયેટ કંટ્રોલ : દૂધ અને ઘઉંની વસ્તુઓ બંધ કરી સોયા મિલ્ક, બાજરી અને કઠોળનો ઉપયોગ વધારવો. શારીરિક પ્રવૃત્તિ : દોડવું, સાયકલિંગ, સ્કેટિંગ અને સ્વિમિંગ જેવી પ્રવૃત્તિઓ મગજના વિકાસમાં મદદ કરે છે. સ્પીચ થેરાપી : બાળક બોલવાનું શરૂ કરે એટલે નિષ્ણાતની મદદ લેવી. આઈ-કોન્ટેક્ટ : બાળક સાથે સતત વાતો કરવી અને તેની સાથે નજર મિલાવવાની પ્રેક્ટિસ કરવી. નિષ્ણાતની સલાહ : હોમિયોપેથી સ્પેશિયાલિસ્ટ ડૉ. કેતન પટેલના મતે, હોમિયોપેથીથી જિનેટિક લક્ષણોમાં 90% સુધી રોક લગાવી શકાય છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

જંગલી ભૂંડે હુમલો કરતાં હડકંપ મચી ગયો:કોઠાર હોળી ફળિયામાં જંગલી ભૂંડે હુમલો કરતા ત્રણ ખેડૂત ઇજાગ્રસ્ત

નાનાપોંઢા તાલુકાના કોઠાર હોળી ફળીયા વિસ્તારમાં બુધવારે સવારે અંદાજે 7 વાગ્યે ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતો પર જંગલી ભૂંડે અચાનક હુમલો કર્યો હતો.નાનાપોંઢાના કોઠાર ગામે જંગલી ભુંડે 3 ખેડૂતો પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. ઘાયલોમાં સંજયભાઈ શાંતુભાઈ ગાઈન, પ્રીતેશભાઈ ગણુભાઈ ગાઈન અને ધર્માભાઈ પિલ્યાભાઈ ગાઈનનો સમાવેશ થાય છે. ત્રણેય ખેડૂત રોજિંદા કામકાજ દરમિયાન ખેતરમાં હાજર હતા ત્યારે જંગલી ભૂંડે હુમલો કરતા હડકંપ મચી ગયો હતો. હુમલા બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઘાયલોને પ્રથમ સારવાર માટે નાનાપોંઢા CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને ધરમપુર સરકારી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. સ્થાનિકોમાં આ ઘટનાને પગલે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા જંગલી પ્રાણીઓના વધતા આતંકને કાબૂમાં લેવા માટે વન વિભાગ પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. સરકાર દ્વારા ઝટકા મશીન મુકવા માટે સબસીડી પણ આપે છે. તે પણ ખેડૂતોએ લેવી જોઇએ.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

આચાર્ય ભગવંત મહારાજના દર્શન કરી લોકો થયા ધન્ય:વલસાડમાં મહાવીર જયંતિએ શોભાયાત્રામાં જૈન સમુદાય ઉમટ્યું

વલસાડમાં મહાવીર જયંતિની શ્રધ્ધાભેર ઉજવણી માટે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જૈન સમુદાય મોટી સંખ્યામાં ઉમટી પડ્યું હતું.મોટાબજાર ઉપાશ્રય ખાતેથી આચાર્ય ભગવંત મ.સા. તથા શ્રાવક શ્રાવિકાઓ જોડાયા હતા. વલસાડ ખાતે મહાવીર જયંતિના પવિત્ર અવસરે નિકેળેલી શોભાયાત્રા શહેરના માર્ગો પર ફરી વળી હતી.મોટાબજાર જૈન ઉપાશ્રય ખાતેથી નિકળેલી શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં જૈન સમાજના પરિવારજનો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકી,જિલ્લા મહામંત્રી કમલેશ પટેલ, પાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ, મહિલા કાઉન્સિલર અલકાબેન શાહ હાજર રહ્યા હતા.વિવિધ માર્ગો પર શ્રધ્ધાળુઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. મૂનિ ભગવંતોનું સન્માન પણ કરાયું હતું.જૈન સમાજની મહિલાઓ બાળકો આગેવાનો તથા પરિવારજનો પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી શોભાયાત્રાના રૂટ પર સતત જોડાયેલા રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

સ્ટંટ કરવાનું પડ્યું ભારે:વલસાડમાં બર્થ ડે માટે જોખમી સ્ટંટ કરતાં 4 યુવકની અટકાયત

વલસાડના ગુંદલાવ હાઇવ પરથી દોડતી એક કારમાં મિત્રની બર્થ ડે ઉજવવામાં અતિ ઉત્સાહમાં આવી ગયેલા નવલોહિયા યુવકો વિન્ડોમાંથી બહાર નિકળી સ્ટંટ કરતા હતા.આ દશ્યો સોશ્યિલ મીડિયામાં વાયરલ થતાં રૂરલ પોલીસે સક્રિય થઈ તપાસ હાથ ધરી ચાર યુવકોની અટકાયત કરી હતી. વલસાડ નજીક ગુંદલાવ હાઇવે પરથી એક કાર રાત્રિ દરમિયાન પસાર થઇ રહી હતી. આ કારમાં સવાર ચાર યુવકોએ મસ્તીના મૂડમાં અતિરેક કરી કારની બારીમાંથી બહાર નિકળી આતશબાજી કરવા મંડી ગયા હતા. તેમણે બેખોફ થઇ ફટાકડા અને ફુલઝડી સળગાવી સ્ટંટ કરતાં રોડ પરથી જતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભયની લાગણી પેસી ગઇ હતી. યુવકો આ સ્ટંટ કરીને પોતાના જીવને પણ ભયજનક સ્થિતિમાં મૂ્કી રહ્યા હતા. આ યુવકોને રાજસ્થાનથી આવેલા મિત્ર ઉમેશ કુમાવતના બર્થ ડેની ઉજવણી માટે સ્ટંટ કરવાનું સૂઝ્યું હતું. સ્ટંટનું વીડિયો શુટિંગ કરી સોશ્યિલ મીડિયામાં વાયરલ કરતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. ચારેની અટકાયત કરતાં યુવકોને સ્ટંટ વાયરલ કરવાનું ભારે પડયું હતું.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

ભાસ્કર વિશેષ:વલસાડમાં આંગણવાડી બહેનોનો વિરોધ પ્રદર્શન સાથે ઓનલાઇન કામ પણ બંધ કર્યુ

વલસાડ જિલ્લામાં આંગણવાડી બહેનોને યોગ્ય માનદ વેતન નહિ ચૂકવતાં આંદોલન શરૂ કરી દઇ ઓનલાઇન ડિજિટલ કામગીરી 2 એપ્રિલથી બંધ કરી દેવાનું એલાન કરવામાં આવ્યું છે. લઘુત્તમ વેતન પણ ચૂકવવામાં આવતું ન હોવાની ફરિયાદ કરી છે. વલસાડ તાલુકાના 12 ઘટકની આંગણવાડી બહેનો હેલ્પરો વલસાડમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંગણવાડી બહેનોએ જણ બહેનોએ કરી નવા મોબાઇલ આપી દેવાયા છે પરંતું દરરોજ નવી નવી એપ્લિકેશનો આપતાં કામનું ભારણ વધતું જાય છે પરંતું વેતન વધારો નહિ કરાતા મોબાઇલ પર ઓનલાઇન કામગીરી બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બહેનોએ કહ્યું કે પગાર વધારો નહિ તો કામ બંધ કરી દેવાની ફરજ પડશે કારણ કે વર્ષોથી વારંવાર ઉચ્ચ સ્તરે સંગઠન દ્વારા રજૂઆતો કરવા છતાં સરકાર માગણી પ્રત્યે ગંભીર ન હોવાથી લડત શરૂ કરાઇ છે. મોબાઇલ ફોન પર ડિજિટલ ઓનલાઇન કામગીરી કરવા માટે ફોન તો આપ્યા પણ કામ તો દિવસે દિવસે વધતું જાય છે અ્ને વેતન લઘુત્તમ ધોરણે પણ નથી મળતુ તેવી રાવ ઉઠી છે. આ મામલે વલસાડ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા 2018 પછી કેન્દ્ર સરકાર દ્વારા પગાર વધારવામાં આવ્યો નથી. હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટનો આદેશ છતાં કોઇ ન્યાય મળતો ન હોવાની હૈયાવરાળ ઠાલવવામાં આવી છે. જેથી કિર્તીબેન પ્રતાપગઢવાલા અને દિપ્તીબેન પટેલના નેતૃત્વમાં આંગણવાડી બહેનોએ વિરોધ પ્રદર્શન કરી ન્યાયની માગણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ઉચ્ચ હોદ્દેદારો સાથે આગળ શું લડત કરવી તેનો નિર્ણય લેવાશે. મહિલાઓ લાંબા સમયથી માગ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

રેલવે મુસાફરોને હાલાકી:વલસાડ સ્ટેશનથી વારાફરતી ઉપડતી ટ્રેનના એકસરખા બોર્ડથી મુસાફરોમાં ભારે ગૂંચવણ

નવસારી રેલવે સ્ટેશન પર વહેલી સવારે મુસાફરો માટે એક વિચિત્ર અને હાલાકીભરી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. વલસાડથી ઉપડતી બે અલગ-અલગ ટ્રેનોના નંબર અને બોર્ડમાં સમાનતા હોવાને કારણે મુસાફરો સતત ગેરસમજનો ભોગ બની રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સવારે 5:49 કલાકે વલસાડથી દાહોદ જતી ટ્રેન નંબર 19011 નવસારી આવે છે. ત્યારબાદ ટૂંકા અંતરે જ એટલે કે સવારે 6:10 કલાકે વલસાડ-વડનગર ટ્રેન આવે છે. આશ્ચર્યની વાત એ છે કે આ બંને ટ્રેનો પર દાહોદ-વલસાડ- વડનગર અને વલસાડ- વડોદરા-જામનગરના એક સરખા જ બોર્ડ લગાવાયા છે. રેલવે તંત્રની આ બેદરકારીને કારણે વડનગર જનારા મુસાફરો ભૂલથી દાહોદ જતી ટ્રેનમાં ચઢી જાય છે. આ ગેરસમજને કારણે ખાસ કરીને રિઝર્વેશન ધરાવતા મુસાફરોને ભારે મુશ્કેલી પડે છે, કારણ કે તેઓને પોતાની નિર્ધારિત સીટ મળતી નથી અને છેવટે સુરત કે તેનાથી અગાઉના સ્ટેશને ઉતરી જવાની ફરજ પડે છે. સૌથી વધુ હાલાકી સામાન્ય કોચના મુસાફરોને થાય છે, જેમને વડોદરાથી ટ્રેન જ્યારે દાહોદના રૂટ પર ફંટાય ત્યારે ખબર પડે છે કે તેઓ ખોટી ટ્રેનમાં સવાર થઈ ગયા છે. તંત્રએ આ બાબતે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી બન્યું છે. મુસાફરોને મુશ્કેલી વેઠવી પડે છેવલસાડ-વડનગરમાં જતા મુસાફરો જેઓ રેગ્યુલર નહીં પણ વર્ષમાં એક કે બે વાર મુસાફરી કરતા હોય છે તેઓને ઘણી મુશ્કેલી વેઠવી પડે છે. અમે રેગ્યુલર અપ-ડાઉન કરનારા લોકો છીએ એટલે અમને ટ્રેનનો ટાઇમ ખબર છે. ઘણા મુસાફરો પાસે સામાન વધારે હોય છે અને દાહોદની ટ્રેન પર વડનગર વાંચીને ચઢી જાય છે. કેટલીકવાર તો અમે પણ તેઓને સમજાવીએ છીએ. > કમલેશ ચુડાસમા, મુસાફર

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

આગ લાગી:માલઘર ગામે શોર્ટ સર્કિટથી ઘરમાં આગ, સામાન બળ્યો

કપરાડા તાલુકાના માલઘર ગામના મોહુપાડા ફળિયામાં રહેતા પિન્ટુભાઈ બાબુરાવભાઈ ગાલટના મકાનમાં મંગળવારના રોજ સાંજે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગતાની સાથે જ આસપાસના રહીશો દોડી આવી આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ ઉનાળાની તીવ્ર ગરમી અને તાપમાન વધુ હોવાથી આગ ઝડપથી ફેલાતાં મકાનમાં રાખેલી જીવન જરૂરીયાતની તમામ ચીજવસ્તુઓ બળી ખાખ થઈ ગઈ હતી. જેમાં અનાજ, કપડાં, ઘરગથ્થુ સામાન, જરૂરી દસ્તાવેજો તથા રોકડ રકમનો પણ સમાવેશ થાય છે. ઘટનાની જાણ સ્થાનિક રહીશ તેમજ ભાજપ યુવા મોરચાના મહામંત્રી ઈશ્વરભાઈ ઉદાર દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન માહલા તથા સંબંધિત તલાટી મંત્રીને કરવામાં આવી હતી. તેમણે અસરગ્રસ્ત પરિવરને તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી માંગણી કરી છે. કપરાડા તાલુકામાં ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાથી આગ લાગે ત્યારે મુશ્કેલી પડતી હોય છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

ભાસ્કર રિયાલિટી ચેક:શાળા સમય બદલાવનો પરિપત્ર ફેઇલ,પહેલા જ દિવસે વિદ્યાર્થીઓ પહોંચ્યા, શિક્ષકો મોડા પડ્યા

વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા પ્રાથમિક શાળાનો સમય વહેલો કરતો પરિપત્ર જાહેર કરાયો હતો. જોકે, પહેલા જ દિવસે આ નિર્ણયનો અમલ કેટલો ખોરવાયો હતો. દિવ્ય ભાસ્કરના રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે સવારે 7:30 વાગ્યા સુધી અનેક શાળામાં શિક્ષકો હાજર જ ન હતા. જ્યારે વિદ્યાર્થીઓ શાળાના પટાંગણમાં નિરાધાર રીતે ઉભા જોવા મળ્યા હતાં. વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ શાળાનો સમય વહેલો રાખવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને વધતી ગરમીથી રાહત મળે અને ભણતર સુગમ બને. પરંતુ જમીન પરની હકીકત બિલકુલ વિપરીત જોવા મળી હતી. ઘણા વિસ્તારોમાં વિદ્યાર્થીઓ સમયસર શાળાએ પહોંચી ગયા હતા, પરંતુ શિક્ષકોના મોડા આગમનને કારણે વર્ગખંડ બંધ જ રહ્યા હતાં. શાળાના દરવાજા ખુલ્યા હોવા છતાં શિક્ષણ પ્રવૃત્તિ શરૂ ન થતા વિદ્યાર્થીઓ બહાર જ સમય પસાર કરતા નજરે પડ્યા હતા. કેટલાક સ્થળોએ નાના વિદ્યાર્થીઓ તડકામાં ઊભા રહી રાહ જોતા જોવા મળ્યા હતા. જેનાથી તેમની આરોગ્ય અને સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. વાલીઓએ જણાવ્યું હતું કે સમય બદલવાનો નિર્ણય યોગ્ય છે, પરંતુ તેનો કડક અમલ ન થાય તો વિદ્યાર્થીઓના ભણતરને ભારે નુકશાની થશે. બાળકો સમયસર પહોંચે છે,પરંતુ શિક્ષકો જ મોડા આવે છે. જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા પરિપત્રમાં સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં મેદાન પર દેખાતી ઉદાસીનતા તંત્રની કામગીરી પર સવાલ ઉભા કરે છે. કડક દેખરેખ-જવાબદારી સાથે અમલ જરૂરી શિક્ષકોની હાજરી અને સમયપાલન સુનિશ્ચિત કરવા માટે કોઈ મોનીટરીંગ વ્યવસ્થા સક્રિય છે કે નહીં તે મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. શૈક્ષણિક નિષ્ણાતોનું માનવું છે કે આવા નિર્ણયો માત્ર કાગળ પર નહીં, પરંતુ કડક દેખરેખ અને જવાબદારી સાથે અમલમાં મુકવામાં આવે ત્યારે જ તેનો લાભ મળે છે. નહીં તો વિદ્યાર્થીઓના ભણતર પર સીધી અસર પડે છે. હાલ આ મુદ્દે જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી. પરંતુ પ્રથમ જ દિવસે થયેલી ગડબડીને ધ્યાનમાં લઈ તંત્ર સક્રિય થાય તેવી માંગ ઉઠી રહી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

ટ્રેનોની સરેરાશ સ્પીડમાં વધારો:ટ્રેનોની સ્પીડ 70 કિમીથી વધીને 136 કિમી થતાં 2 કલાક સુધીનો સમય બચશે

અમદાવાદ ડિવિઝનમાં 2025-26 દરમિયાન હાથ ધરાયેલા ટ્રેક સુધારા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સુધારાના કારણે અમદાવાદથી મુંબઈ તેમજ પાલનપુર રૂટ પર દોડતી ટ્રેનોની સરેરાશ સ્પીડમાં નોંધપાત્ર વધારો થયો છે. અગાઉ 60થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનો હવે 110થી 136 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતા પેસેન્જરનો મુસાફરી સમય 30 મિનિટથી લઈ 2 કલાક સુધીનો સમય બચશે. ડિવિઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશે જણાવ્યું કે 26 રેલવે ક્રોસિંગ પર અંડરબ્રિજ અને 4 સ્થળે ઓવરબ્રિજ બનાવાયા છે. સાથે જ 53 કિમી વિસ્તારમાં લૂપ લાઇન દૂર કરીને સીધી ટ્રેક વ્યવસ્થા ઊભી કરાઈ છે. આ ઉપરાંત 10 સ્થળોએ પર્માનેન્ટ સ્પીડ રિસ્ટ્રિક્શન (પીએસઆર) દૂર કરાયા છે. જે સ્પીડ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થયા છે. 26 અંડરબ્રિજ, 4 ઓવરબ્રિજ તૈયાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર : 26 અંડરબ્રિજ, 4 ઓવરબ્રિજ તૈયાર અને 53 કિમી સીધી ટ્રેક વ્યવસ્થા. 100 ટકા % ઇલેક્ટ્રિફિકેશન : ડિવિઝનનો સંપૂર્ણ રૂટ હવે ઇલેક્ટ્રિક ટ્રેનો માટે સજ્જ. યાત્રી સુવિધા : વર્ષ દરમિયાન 408.10 લાખ મુસાફરોએ સુરક્ષિત મુસાફરી કરી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

વિવાદ:5 વર્ષથી પ્રશ્નનો ઉકેલ ન આવતાં સૈજપુરના કોર્પોરેટરના ઘરે હંગામો

શહેરના સૈજપુર બોઘાના ભાજપના કોર્પોરેટર વિનોદકુમારી ચૌધરીના ઘરે સ્થાનિક ચાલીને રહીશોએ હંગામો કર્યો હતો રહીશોની રજૂઆત હતી કે પાંચ વર્ષે પણ તેમના પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી આ મામલે કોર્પોરેટર પરિવારજનો અને રહીશો વચ્ચે ધક્કા મૂકીને દ્રશ્યો પણ સર્જાયા હતા સૈજપુર બોધાના કોર્પોરેટર વિનોદ કુમારી ચૌધરીના ઘરે બુધવારે સવારે 10થી 15 મહિલાઓ અને પુરુષોનું ટોળું પહોંચ્યું હતું તેમણે રજૂઆત કરી હતી કે તેમના વિસ્તારમાં ગટરનો પ્રશ્ન લાંબા સમયથી વણ મોકલ્યો છે વારંવાર ની રજૂઆત છતાં પાંચ વર્ષેય પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. આ અંગે કોર્પોરેટરે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં કોર્પોરેટના પરિવારજનો અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઈ હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

શહેરમાં વસતી ગણતરીનો પ્રારંભ:મકાન કાર, બાઈક સહિતના 33 પ્રશ્નો પૂછાશે; રાજ્યના 600થી 800 શિક્ષકોને ગણતરીની કામગીરી સોંપાઈ

ભારતમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા ફરી એકવાર પાટા પર ચઢી છે. બુધવારથી શરૂ થયેલા પ્રથમ તબક્કામાં ગણતરીકારોએ મકાનોની વિગતો નોંધવાનું શરૂ કર્યું છે. આ પ્રક્રિયામાં અમદાવાદ સહિત રાજ્યના 600 થી 800 શિક્ષકો અને સરકારી કર્મચારીઓ જોતરાયા છે. પ્રથમ દિવસે ગણતરીકારોએ વિવિધ વિસ્તારોમાં ફરીને મકાન નંબર, પરિવારના સભ્યોની સંખ્યા અને ઉપલબ્ધ પ્રાથમિક સુવિધાઓની નોંધણી કરી હતી. આ વસ્તી ગણતરી બે તબક્કામાં વહેંચાયેલી છે. પ્રથમ તબક્કો સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે, જેમાં મકાનો અને ડિજિટલ સાધનો જેવી ભૌતિક સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. જ્યારે ફેબ્રુઆરી 2027માં બીજા તબક્કા દરમિયાન વાસ્તવિક વસ્તી ગણતરી થશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લે 1931માં જાતિ આધારિત ગણતરી થઈ હતી, જે હવે 95 વર્ષ બાદ ફરીથી કરવામાં આવશે. સરકાર આ ડેટાના આધારે ભવિષ્યની યોજનાઓ અને વિકાસકાર્યને વધુ અસરકારક બનાવવા પ્રયાસ કરશે. પ્રથમ રાઉન્ડમાં મકાનોની ગણતરી શરૂ થઈ - મકાન નંબર, દીવાલ-છતની સામગ્રી અને માલિકીની સ્થિતિ. - સભ્યોની સંખ્યા, વડાનું નામ, લિંગ અને જાતિ વર્ગ. - પીવાનું પાણી, વીજળી, શૌચાલય, રસોડું અને ગેસ કનેક્શન. - ટેલિવિઝન, ઇન્ટરનેટ, લેપટોપ/કમ્પ્યુટર અને સ્માર્ટફોન. - સાઈકલ, ટુ-વ્હીલર અને કારની ઉપલબ્ધતા. - ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા, મુખ્ય અનાજ અને મોબાઈલ નંબર.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

લોકાર્પણ:નાની ભમતીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ‘સાકાર વાંચન કુટીર’નું લોકાર્પણ કરાયું

વાંસદા તાલુકાના નાની ભમતી મુકામે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના ફાઉન્ડર હિતેનભાઈ ભુતાના સૌજન્યથી નિર્મિત સાકાર વાંચન કુટીર નાની ભમતીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શરુઆતમાં પુસ્તકની જ્ઞાન યાત્રા તૂરના તાલ અને નૃત્ય સાથે વાજતે ગાજતે કાઢવામાં આવી હતી. કાર્યક્રમમાં પાર્થિવ મહેતા, જયંતિ પટેલ, નાની ભમતી સરપંચ જીતુ પટેલ, મોટી ભમતી સરપંચ વિનોદભાઈ, રોહિત પટેલ મત્સ્ય ઉદ્યોગ કચેરી વલસાડ ઉપસ્થિત રહ્યાં હતા. રેઈન્બો વોરીયર્સ ધરમપુર ગ્રુપની અનોખી પરંપરા મુજબ ગામની સૌથી વધુ ભણેલી દીકરીઓનું ફળાઉ છોડ આપી શાલ ઓઢાડી સરસ્વતી માતાની મૂર્તિ આપી ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માન કરાયું હતું. સાકરા જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના ફાઉન્ડર હિતેન ભૂતાએ ઓડિયો મેસેજ દ્વારા ગ્રામજનો, સરપંચ જીતુભાઈ તથા ગ્રામ પંચાયતના સભ્યોની કામગીરીને બિરદાવી હતી તથા વાચકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. સાકાર વાંચન કુટીર નાની ભમતીમાં યુપીએસસી, જીપીએસસી તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તથા ધોરણ-5થી 12 સુધીના છાત્રો માટે ઉપયોગી સાહિત્ય ઉપલબ્ધ કરાવ્યું છે. નાની ભમતી તેમજ આજુબાજુના ગામના જરૂરિયાતમંદ બાળકો, યુવાનો તથા વાચક મિત્રો માટે સાકાર વાંચન કુટીર આશીર્વાદરૂપ બનશે. સાકાર વાંચન કુટીર નાની ભમતી તથા અન્ય ગામના યુવાનો, આગેવાનોએ ખુબજ ઉદાર હાથે આર્થિક દાન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

ગ્રામજનોએ કર્યો વિરોધ:કંબોયામાં હાઈસ્પીડ કોરિડોર માટે સર્વે કરવા પહોંચેલી ટીમને અટકાવી

વાંસદા તાલુકામાંથી બીલીમોરાથી વઘઇ સુધીનો હાઈસ્પીડ કોરિડોર ઉપરથી 80થી 100ની સ્પીડે વાહન નીકળી શકે એવો 6 લાઇન હાઈવે માટે સર્વેની કામગીરી કરવા સર્વે ટીમ પહોંચી હતી. તેઓ માટીના સેમ્પલ લેવાની કામગીરી કરતા હોવાની જાણ ગ્રામજનોને થઇ હતી. જેને પગલે આજુબાજુ વિસ્તારના સરપંચો તથા ગ્રામજનો ભેગા થઈ વિરોધ કરી સર્વેની કામગીરી અટકાવી દીધી હતી. વાંસદા તાલુકાના ગામોમાંથી હાઈસ્પીડ કોરિડોર પ્રોજેક્ટમાં 80થી 100ની સ્પીડથી વાહન નીકળી શકે એવો હાઈવે મંજૂર થતા વહીવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી હતી. કંબોયા ગામે હાઈસ્પીડ કોરિડોર માટે ટીમ સર્વે અંતર્ગત માટીના સેમ્પલ લઈ રહ્યાં હતા. જેની જાણ ગ્રામજનોને થઇ હતી. જેને પગલે આજુબાજુ વિસ્તારના સરપંચો સહિત ગામના આગેવાનો સ્થળ પર એકત્ર થઇ ગયા હતા. ગ્રામજનોએ સર્વે કરવા આવનાર ટીમને જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતની મંજૂરી લીધા વગર કોઈપણ જાતની કામગીરી કરવાની નથી.જેથી સર્વે કરવા આવનાર ટીમના કર્મચારીઓ સર્વે કામગીરી અટકાવી દીધી હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

છેતરપિંડી:પિતરાઈ ભાઈ સાથે લંડનમાં અભ્યાસ કરતો હોવાનું કહી ગઠિયાએ મહિલા બેન્ક મેનેજર પાસેથી 40 લાખ પડાવ્યા

‘પિતરાઈ ભાઈ સાથે લંડનમાં અભ્યાસ કરતો હોવાનું કહીને ગઠિયાએ બેન્કના મહિલા અધિકારી સાથે ઘરોબો કેળવ્યો હતો. ત્યારબાદ ઈન્ડિયામાં મકાન ખરીદવાની અને બિઝનેસ સેટ કરવાની વાત કરતા મહિલાએ તેનું મકાન રૂ.2 કરોડમાં વેચવાની વાત કરી હતી. જો કે તે મકાનના જીએસટી પેટે રૂ.80 લાખ ભરવા પડશે તેવી નોટિસ આપી 40.48 લાખ પડાવ્યા હતા. મણિનગરમાં રહેતા અને બેંક ઓફ ઈન્ડિયામાં સ્પેશિયલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા 55 વર્ષીય મીનાક્ષીબહેન સાથે ફેસબુકના માધ્યમથી મોટી છેતરપિંડી થઈ છે. ગત 10 ફેબ્રુઆરીએ તેમને ‘વિશાલ ચોપરા, લંડન’ નામની આઈડી પરથી મેસેજ આવ્યો હતો. વિશાલે જણાવ્યું હતું કે તે મીનાક્ષીબહેનના પિતરાઈ ભાઈ અભિનવ સાથે લંડનમાં ભણતો હતો અને હાલ ત્યાં કારના શો-રૂમમાં નોકરી કરે છે. વિશ્વાસ જીતવા માટે તેણે 2 માર્ચની લંડનથી મુંબઈની ટિકિટ, પાસપોર્ટની નકલ અને વિઝા ફોર્મ પણ વોટ્સએપ પર મોકલ્યા હતા. ત્યારબાદ તેણે જણાવ્યું કે ઈન્ડિયામાં તેનું એકાઉન્ટ નથી અને ડોલર એક્સચેન્જ કરાવવા માટે રૂ.80 લાખ જીએસટી ભરવો પડશે. આ ટેક્સ ભર્યા પછી જ તે મકાન ખરીદી શકશે તેમ કહી મીનાક્ષીબહેન પાસેથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ.40.48 લાખ પડાવી લીધા હતા. છેતરાયા હોવાનો અહેસાસ થતા મહિલા અધિકારીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાનો વિશ્વાસ જીતવા માટે એર ટિકિટ પણ મોકલી હતી નકલી દસ્તાવેજો : વિશ્વાસ જીતવા માટે એર ટિકિટ, વિઝા એપ્લિકેશન અને પાસપોર્ટની નકલ વોટ્સએપ પર મોકલી. મોટી લાલચ : મહિલાનું ₹2 કરોડનું મકાન ખરીદવાની તૈયારી બતાવી આર્થિક વ્યવહારનો પાયો નાખ્યો. ટેક્સનું બહાનું : જીએસટી અને ડોલર એક્સચેન્જના નામે ખોટી નોટિસ મોકલી તાત્કાલિક પૈસાની માંગણી કરી. ડિજિટલ ટ્રાન્ઝેક્શન : મકાન ખરીદ્યા પછી પૈસા પરત કરી દેવાની ખાતરી આપી ₹40.48 લાખ પડાવ્યા.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

વેરાની વસૂલાત:જિ.પંચાયતમાં 31 માર્ચ સુધીમાં 42 ટકા વેરો ભરાયો, વાગરાનો 62 ટકા

ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા તમામ ગ્રામ પંચાયતમાં વેરા વસૂલાત વધારવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ તલાટીઓ વેરો વસૂલાત કરવા માટે સતત કર્મગીરી કરી રહ્યા છે. જેના પરિણામે વર્ષે 31 માર્ચ સુધીમાં 42 ટકા વેરાની વસૂલાત કરાઇ છે. આને આગામી દિવસોમાં માપન વેરા વસૂલાતની કામગીરી ચાલુ રાખવામાં આવશે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વેરો વાગરા ગ્રામ પંચાયતે 62 ટકા વસૂલી લીધો છે. વેરા વસૂલવા માટે તલાટીઓ દ્વારા ઘરે ઘરે જઈને વેરા અંગે માહિતી આપવામાં આવી રહી છે તેમજ લોકોમાં જાગૃતિ લાવવા માટે બેઠકઓ અને સમજણ કાર્યક્રમોનું આયોજન કરાઇ રહ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ ગ્રામ વિકાસ માટે જરૂરી આવક વધારવા નો છે, કારણ કે વેરા થી મળતી આવક ગામના વિવિધ વિકાસ કાર્યોમાં ઉપયોગી સાબિત થાય છે. રસ્તા, પાણી, સ્વચ્છતા સહિતની સુવિધાઓ માટે આ આવક મહત્વપૂર્ણ છે. વેરો ભરવા માટે પંચાયત તરફથી અપીલ કરવા આવે છે અને માંગણા નોટિસ ની બજવણી, ગામમાં મંડપ પાળીને કેમ્પ જેવું યોજી તેમજ રજાના દિવસે પણ કચેરી ચાલુ રાખી વધુમાં વધુ વેરા વસૂલાત થાય તેવું આયોજન કરાઇ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

કિશોરી મેળાનું સુંદર આયોજન કરાયું:આંગણવાડીઓમાં કિશોરીઓને પોષણ અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન અપાયું

જિલ્લામાં આઇસીડીએસવિભાગ દ્વારા વિવિધ આંગણવાડી કેન્દ્રો પર 'કિશોરી મેળા'નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરીઓમાં આરોગ્ય અને પોષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો, જેમાં મોટી સંખ્યામાં કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મેળા દરમિયાન કિશોરીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં વજન, ઊંચાઈ, બોડી માસ ઈન્ડેક્સ અને હિમોગ્લોબિનની તપાસ કરી પરામર્શ આપવામાં આવ્યો હતો. તજજ્ઞો દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર લેવાના ફાયદા સમજાવી, કુપોષણથી દૂર રહેવા અને યોગ્ય ખાનપાનની ટેવ પાડવા અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે કિશોરીઓ દ્વારા પૂર્ણા શક્તિના લોટનો ઉપયોગ કરીને વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. શ્રેષ્ઠ વાનગી બનાવનાર કિશોરીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. વધુમાં, ટેક હોમ રાશનના ફાયદા અને તેના યોગ્ય ઉપયોગ વિશે જાણકારી આપી હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

દિવ્યાંગ ‎‎લાભાર્થીઓમાં ભારે અસંતોષ:સમાજ કલ્યાણ વિભાગે વડી કચેરીથી નવા ફોન આવતા બદલવા જણાવ્યું

ભરૂચમાં દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ આપવામાં આવેલા મોબાઈલ ફોન મુદ્દે દિવ્યાંગ લાભાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. 89 જેટલા અંધજન લાભાર્થીઓએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને લેખિત રજૂઆત કરી 4જી મોબાઈલ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે અને યોગ્ય ગુણવત્તાવાળા 5જી ફોન આપવા માગ કરી છે. જેથી અંધજન ફોન હાથમાં લઈને કચેરીની બહાર બેઠેલા જોવા મળ્યા હતા. લાભાર્થીઓના જણાવ્યા મુજબ, આપવામાં આવેલા 4જી ફોન ટેક્નિકલ રીતે નબળા છે. ખાસ કરીને ટોકબેક સુવિધા ચાલુ કરતાં ફોન ધીમો પડી જાય છે, જેના કારણે દિવ્યાંગ લોકો માટે તેનો ઉપયોગ કરવો મુશ્કેલ બને છે. તેમણે આક્ષેપ કર્યો છે કે સરકાર દ્વારા પ્રતિ સાધન અંદાજે 20 હજાર સુધીનો બજેટ નક્કી કરાયો છે, જ્યારે આપવામાં આવેલા ફોનની કિંમત આશરે રૂ. 7,200 જેટલી છે. આથી ગેરરીતિની શંકા ઊભી થઈ છે. લાભાર્થીઓએ ટેન્ડર પ્રક્રિયા, ખરીદીની વિગત અને જવાબદારો અંગે પારદર્શિતા લાવવા માગ કરી છે. સાથે જ યોગ્ય તપાસ કરીને ગુણવત્તાસભર 5જી મોબાઇલ ફોન આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. જોકે સમાજ કલ્યાણ માંથી જણાવવામાં આવ્યું છે કે જેવા નવા ફોન વડી કચેરી થી આવશે એટલે તાત્કાલિક બદલી આપવામાં આવશે. અમને હલકી ગુણવત્તા વાળા ફોન આપવામાં આવ્યા છે અમે બ્લાઇંડ લોકો છે અમારી સાધન સામગ્રીની રાજ્ય સરકાર માંથી સહાય આવે છે. જેનું ઓગસ્ટ 2025 માં ફોર્મ ભર્યા હતા એ સ્માર્ટ ફોનનું વિતરણ 12 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. એ ફોન હલકી ગુણવત્તા વાળા છે. જે રૂ. 7 હજારની આસપાસ છે અને 20 હજારની યોજના મંજુર થાય છે. આ ફોન ટોકબેક સુવિધાથી વપરાશ કરવાનો હોય છે જે આમાં ચાલતું નથી.- સુનિલ ચોહાણ, ધંતૂરીયા વડી કચેરીએથી ફોન આવતા બદલી આપવામાં આવશેભરૂચ જિલ્લામાં 89 દિવ્યાંગને યોજના અંતર્ગત ફોન આપવામાં આવ્યા છે. પણ દિવ્યાંગો તરફથી ફરિયાદ થઈ છે જે તેમને જે રીતે ના સોફ્ટવેર જોઈએ તે હાલના ફોનમાં ઉપલબ્ધ નથી. જેની રજૂઆત વડી કચેરીએ કરવામાં આવી છે. એ સંદર્ભે અમને સૂચના મળી છે કે ફોન બદલી આપવામાં આવશે. અને અમારી પાસે વડી કચેરીએ થી અંદાજે 15 દિવસમાં ફોન આવી જતાં ફોન બદલી આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

SIRની અસર:7.51 લાખ મતદાર ઘટતાં પશ્ચિમના 5 અને પૂર્વના 19 વોર્ડના પરિણામ ઉલેટફેર થવાની શક્યતા

અમદાવાદ મ્યુનિ.ના 48 વોર્ડની 192 બેઠકો માટે 26 એપ્રિલે મતદાન યોજાશે જ્યારે 28 એપ્રિલે પરિણામ જાહેર થશે. વર્ષ 2000થી લઈને 2021 સુધીમાં યોજાયેલી પાંચ ચૂંટણી પાંચ વર્ષ પહેલાં યોજાઈ ગઈ હતી. પરંતુ આ વખતે ચૂંટણી 5 વર્ષ અને 2 મહિના પછી યોજાઈ રહી છે. જે 25 વર્ષમાં સૌથી મોડી છે. શહેરમાં નવી મતદાર યાદીમાં 7.51 લાખ મતદારોની સ્પષ્ટ બાદબાકી થઇ ગઇ છે, ગયા વર્ષે જે વિસ્તારોમાં ચારની પેનલમાં સૌથી વધારે મતથી વિજેતા થયેલા ઉમેદવારને જેટલા મત મળ્યા હતા તેટલી સંખ્યામાં મતદારોના નામ આ વખતે યાદીમાંથી નામ કમી કરાયા છે. જેના કારણે પરિણામમાં ઊલટફેર થઈ શકે છે. કુબેરનગર, સરદારનગર, સાબરમતી જેવા વિસ્તારમાં જ્યાં 7 ઉમેદવાર માત્ર 1 હજાર મતની પાતળી બહુમતીથી જીત્યા હતા ત્યાં પણ આ મતદાર યાદીને કારણે સ્પષ્ટ ઇમ્પેક્ટ આવી શકે છે. મુસ્લિમ વિસ્તારમાં મતદાર નોંધણીની અસર અન્ય વિસ્તારો જેવી જોવા મળી છે. મક્તમપુરા વોર્ડમાં મતદારોની સંખ્યા 2234 વધી છે, શાહપુરમાં 19453, દરિયાપુરમાં 21280 મતદારો ઓછા થયા છે. જમાલપુરમાં 14251, સરખેજમાં 2145, બહેરામપુરામાં 13093, ગોમતીપુરમાં 17223, વટવામાં 12933 મતદારો ઘટ્યા છે. આ તમામ વિસ્તારોમાં મહત્તમ મુસ્લિમ મતદારો છે. મહત્તમ મત મળ્યા તે કરતાં વધુ મતદાર કપાયા વોર્ડ ઉમદવારને સૌથી મતદારો વધારે મત મળ્યા ઘટ્યા સાબરમતી 19566 19469 નારણપુરા 26004 24210 સ્ટેડીયમ 17625 22448 સૈજપુર બોધા 19375 21232 કુબેરનગર 14899 22693 અસારવા 22506 24831 શાહપુર 15659 19453 નવરંગપુરા 20231 29164 દરિયાપુર 20867 21280 ઇન્ડિયા કોલોની 16161 22095 બાપુનગર 21167 22430 સરસપુર 26475 26393 ખાડીયા 21286 23813 જમાલપુર 13983 14251 પાલડી 21300 20855 બહેરામપુરા 14800 13093 ગોમતીપુર 18970 17223 અમરાઇવાડી 15993 25605 ઇન્દ્રપુરી 20745 21017 ભાઇપુરા 21163 24136 ખોખરા 21835 20583 પાર્ટીની તૈયારીઓ કોંગ્રેસ | તમામ વોર્ડમાં ઉમેદવારી ઇચ્છુક કાર્યકરોના બાયોડેટા મેળવી લધા છે. કાર્યકરો અને ઉમેદવારોની રજૂઆતો પણ પ્રભારીએ સાંભળી છે. ઉમેદવારી માટે ઇચ્છુક કાર્યકરોના ઇન્ટરવ્યુ પણ થઇ ગયા છે. તમામ વોર્ડમાં 5થી 6 ઉમેદવારોની એક યાદી તૈયાર કરાઈ છે. ભાજપ | તમામ વોર્ડમાંથી દાવેદારોના બાયોડેટા આવી ગયા છે. અત્યારે 2, 3 અને 4 એપ્રિલ સુધી તેમને સાંભળવામાં આવશે. તમામ ફોર્મની સ્ક્રૂટીની બાદ પાર્લામેન્ટ્રીની બેઠક સમક્ષ એક વોર્ડની 4 પેનલની એક યાદી રજૂ કરાશે. 11 એપ્રિલ સુધીમાં તમામ નિર્ણય લઈ લેવાશે. અનામતે ગણિત બદલ્યુંમ્યુનિ.ની ચૂંટણી પહેલા જાહેર કરાયેલી અનામતની બેઠકોમાં 27 ટકા અનામત ઓબીસી ઉમેદવારોને અપાઈ છે. ત્યારે 48 વોર્ડમાં 52 જઓબીસી ઉમેદવારોને ફરજીયાત ટીકીટ આપવી પડશે. તે સિવાય એસ.સી. અને એસટી બેઠકોની અનામતનું પણ રોટેશન બદલાયું છે. જેથી 100થી વધારે બેઠકો પર સીધી અસર જોવા મળશે. મોટાભાગના વોર્ડમાં હાલની પેનલ તૂટી જશે. તે સિવાય ભાજપની 3 ટર્મ અને ઉંમરની મર્યાદાના અમલ કરશે તો મોટાભાગના ઉમેદવારોની ટિકિટ કપાશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

વેધર રિપોર્ટ:જિલ્લાનું તાપમાન બે દિવસથી 36 ડિગ્રી થઇ જતાં ગરમી વધી

ભરૂચ જિલ્લામાં બુધવારે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે દિવસ દરમિયાન બફારો વધુ અનુભવાયો હતો. તેથી લોકોએ વધુ ગરમીનો અનુભવ કર્યો હતો. ગરમી ના કારણે લોકોને વધુમાં વધુ પાણી પીવા તેમજ જરૂર વગર બપોરના સમયે ઘરની બહાર નહીં નીકળવા માટે સલાહ આપવામાં આવી છે. જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી તાપમાન 35 અને 36 ડિગ્રી વચ્ચે રહ્યું છે. જેના કારણે લોકોના ઘરમાં એસીનો ઉપયોગમાં પણ વધારો થયો છે. આ વર્ષે માર્ચ મહિનાથી જ આકરી ગરમી પડી રહી છે ત્યારે આગામી દિવસમાં ગરમી વધુ પડશે. આમ દિવસ દરમિયાન ભરૂચ જિલ્લાનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 23 ટકાની આસપાસ અને પવનની ગતિ 22 કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

ચૂંટણીનો ધમધમાટ:ભાજપની સેન્સ પ્રક્રિયામાં પહેલીવાર ટોકન પ્રથા,વોર્ડ 17 -18માં સૌથી વધુ 101 સહિત 12 વોર્ડમાં 800 દાવેદારો

પાલિકાની ચૂંટણી આગામી 26 એપ્રિલે યોજાશે અને 28મી એપ્રિલે મત ગણતરી કરવામાં આવશે. બીજી તરફ શહેરમાં ભાજપના દાવેદારોની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં પહેલી વખત ટોકન સિસ્ટમ શરૂ કરતાં પૂર્વ હોદ્દેદારોએ લાઈનમાં બેસવું પડ્યું હતું. મોડી રાત સુધી ચાલેલી સેન્સની પ્રક્રિયામાં 800થી વધુ દાવેદારી આવી છે. એક તરફ પાલિકાની ચૂંટણીની તારીખની જાહેરાત થઈ છે. બીજી તરફ શહેરમાં ઝોન દીઠ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સવારે 9 કલાકે સેન્સ પ્રક્રિયા શરૂ થવાની હતી, પરંતુ નિરીક્ષકો બેથી અઢી કલાક સુધી મોડા પડ્યા હતા. જેને કારણે દાવેદારોએ રાહ જોવી પડી હતી. બુધવારે 4 ઝોનમાં 12 વોર્ડના 800થી વધુ દાવેદારોએ ફોર્મ ભર્યાં હતાં. આ વખતે પહેલીવાર સેન્સ પ્રક્રિયા દરમિયાન દાવેદારોને ટોકન અપાયાં હતાં. આધારભૂત સૂત્રો મુજબ દર વખતે પૂર્વ હોદ્દેદારો પહેલાં સેન્સ આપવા જતા હતા. આ વખતે તેઓએ પણ લાઈનમાં બેસવાનો વારો આવ્યો હતો. 12 વોર્ડમાં સૌથી વધુ વોર્ડ 17-18માં 101-101 દાવેદારો નોંધાયા હતા. જ્યારે વોર્ડ 8માં 82 કાર્યકરોએ ફોર્મ ભર્યાં છે. બુધવારે વોર્ડ નંબર 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10 અને 16, 17, 18ના કાર્યકરોના સેન્સ લેવાયા હતા. ગુરુવારે બાકી 7 વોર્ડના દાવેદારોને સાંભળવામાં આવશે. શહેરના 12 વોર્ડના દાવેદારોની સેન્સ લેવાઈ ચૂંટણી જાહેર થતાં જ પાલિકાની આખરી મતદાર યાદી જાહેર કરાઈ પાલિકાની ચૂંટણી શાખાએ 21 માર્ચે 19 વોર્ડની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરી હતી. જેમાં 7 વોર્ડમાંથી 90 વાંધા મળ્યા હતા. બુધવારે ચૂંટણી જાહેર થતાં આખરી મતદાર યાદી જાહેર કરી છે. સાથે બૂથ માટે ફાળવાતી સ્ટેશનરીની 1131 અને વધારાની 114 કિટ બનાવવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ શહેર કોંગ્રેસે તમામ 19 વોર્ડમાં સેન્સ પ્રક્રિયા યોજી હતી. જ્યારે ભાજપના પૂર્વ કાઉન્સિલરો કોંગ્રેસમાં જોડાયા છે અને ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. બીજી તરફ આપ પાર્ટીએ તાજેતરના 24 ઉમેદવારની યાદી જાહેર કરી હતી. શહેરના 19 વોર્ડમાં 2.38 લાખ જેટલા મતદારો કપાયા શહેરને પહેલી ટર્મ માટેના મેયર વોર્ડ 8, 12 અને 18માંથી મળશે19 વોર્ડની બેઠકોનું અનામત રોસ્ટર જાહેર થતાં ગરમાવો આવ્યો છે. મેયર પદની પહેલી ટર્મ SC, બીજી ટર્મ મહિલા ઓબીસી માટે અનામત છે. વોર્ડ 8, 12, 18માં ત્રીજી બેઠક SC માટે અનામત હોવાથી તે વોર્ડના વિજેતા SC પુરુષ ઉમેદવાર મેયર બની શકશે. બીજી ટર્મમાં 10 OBC મહિલા કોર્પોરેટરમાં ખેંચતાણ થશે. 2021 vs 2026 વોર્ડ વાઇઝ અનામત અને કપાતા કોર્પોરેટર

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:30 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ટ્રમ્પે કહ્યું - ઈરાની રાષ્ટ્રપતિએ યુદ્ધવિરામની અપીલ કરી, પંજાબ ભાજપ હેડક્વાર્ટરની બહાર બ્લાસ્ટ, 26મી એપ્રિલે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

નમસ્તે, ગઈકાલના સૌથી મોટા સમાચાર પંજાબ ભાજપ હેડક્વાર્ટરની બહાર થયેલા બ્લાસ્ટને લઈને રહ્યા. બીજા મોટા સમાચાર મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષના રહ્યા, જેમાં ઈરાને એમેઝોન ઓફિસ પર હુમલો કર્યો છે.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ભોજશાળા વિવાદ મામલે મધ્યપ્રદેશ હાઈકોર્ટ હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. 2. ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના ભવાનીપુરમાં ચૂંટણી રેલી કરશે. 3. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અસમમાં ત્રણ ચૂંટણી સભાઓ કરશે. કાલના મોટા સમાચારો 1. ઈરાને બહેરીનમાં એમેઝોન ઓફિસ પર હુમલો કર્યો:માઈક્રોસોફ્ટ-એપલ, ગૂગલ પણ નિશાન પર; ટ્રમ્પે કહ્યું- ઈરાન સાથે ડીલની કોઈ જરૂર નથી ઈરાને આજે બહેરીનમાં અમેરિકી કંપની એમેઝોન વેબ સર્વિસના એક ડેટા સેન્ટર પર હુમલો કર્યો છે. ફાઈનાન્શિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ, આ હુમલા બાદ તે સ્થળે ભીષણ આગ લાગી ગઈ હતી. આ પહેલા બહેરીનના ગૃહ મંત્રાલયે પણ માહિતી આપી હતી કે એક કંપનીની ઈમારતમાં આગ લાગી છે, જેને ફાયર બ્રિગેડની ટીમ ઓલવી રહી હતી. જોકે, તે સમયે કંપનીના નામનો ખુલાસો કરવામાં આવ્યો નહોતો. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે એક દિવસ પહેલા જ ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સે મિડલ ઈસ્ટમાં કાર્યરત 18 અમેરિકી કંપનીઓને નિશાન બનાવવાની ધમકી આપી હતી. આ યાદીમાં માઈક્રોસોફ્ટ, એપલ, ગૂગલ અને મેટા જેવી મોટી ટેક કંપનીઓ સામેલ છે. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે ઈરાન સાથે યુદ્ધ ખતમ કરવા માટે કોઈ પણ પ્રકારની ડીલની જરૂર નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ચંદીગઢમાં પંજાબ BJP હેડક્વાર્ટરની બહાર બ્લાસ્ટ:ગ્રેનેડ ફેંકવાનો VIDEO સામે આવ્યો, આ જ હુમલાનો વીડિયો હોવાનો દાવો, 2 શંકાસ્પદ લોકોની શોધખોળ ચંદીગઢમાં BJPના પંજાબ મુખ્યાલયની બહાર બુધવારે સાંજે 5 વાગ્યે બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ પછી ત્યાં પાર્કિંગમાં ઉભેલી ઘણી ગાડીઓના કાચ તૂટી ગયા. BJP ઓફિસની દીવાલ પર 70થી 80 છરા જેવા નિશાન બની ગયા છે. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ ગ્રેનેડની પિન ખોલીને તેને ફેંકીને ભાગી રહ્યો છે. આ દરમિયાન ધમાકાનો અવાજ પણ સંભળાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો BJP ઓફિસ પર થયેલા હુમલાનો છે. બ્લાસ્ટની સૂચના મળતા જ ચંદીગઢ પોલીસની ઘણી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બોમ્બ અને ડોગ સ્ક્વોડ તેમજ ફોરેન્સિક ટીમો દ્વારા સમગ્ર વિસ્તારની તપાસ કરવામાં આવી રહી છે. ટીમે વિસ્ફોટકના ટુકડાઓની પણ તપાસ કરી. પોલીસને CCTVમાં 2 શંકાસ્પદ વ્યક્તિઓ દેખાયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઊંઘમાંથી ઊઠ્યા ને 30 હજારની નોકરી ગઈ:વિશ્વની મોટી કંપનીઓમાં સામેલ ઓરેકલે મોટા પાયે છટણી કરી, 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી; આવતા મહિને બીજો રાઉન્ડ દુનિયાના છઠ્ઠા સૌથી અમીર ઉદ્યોગપતિ લેરી એલિસનની ટેક કંપની ઓરેકલે લગભગ 30,000 કર્મચારીઓને છૂટા કર્યા છે. જેમાં ભારતના 12,000 કર્મચારીઓનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની આવતા મહિને છટણીનો બીજો રાઉન્ડ પણ શરૂ કરી શકે છે. કર્મચારીઓને સવારે 6 વાગ્યે ઇનબોક્સમાં ટર્મિનેશન લેટર મળ્યા. તેમાં લખ્યું હતું કે આજે તેમનો છેલ્લો કાર્યકારી દિવસ છે. થોડી જ મિનિટોમાં તેમની સિસ્ટમ એક્સેસ બંધ કરી દેવામાં આવી. કંપનીએ છટણી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. બિઝનેસ ઇનસાઇડર અનુસાર, ઓરેકલે ઘણા દેશોમાં કર્મચારીઓને ઇમેઇલ મોકલીને જણાવ્યું છે કે કંપની ફેરફારો કરી રહી છે, જેના હેઠળ કેટલાક પદો નાબૂદ કરવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ઇન્ડિગોની ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ₹950, ઇન્ટરનેશનલ ₹10,000 સુધી મોંઘી:18 દિવસમાં બીજી વાર ભાડું વધ્યું; ફ્યુઅલ મોંઘું થવાથી એક્સ્ટ્રા ચાર્જ લાગશે દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોની ફ્લાઇટ્સ ગુરુવારથી મોંઘી થઈ જશે. એરલાઇને ડોમેસ્ટિક ઉડાનોમાં મહત્તમ ₹950 સુધી અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં ₹10,000 સુધીનો વધારાનો ફ્યુઅલ ચાર્જ લગાવ્યો છે. નવી કિંમતો 2 એપ્રિલ રાત્રે 12:01 વાગ્યાથી લાગુ પડશે. ઇન્ડિગોએ 18 દિવસમાં બીજી વાર ઘરેલુ અને ઇન્ટરનેશનલ ઉડાનો પર ફ્યુઅલ સરચાર્જ વધારવાનો નિર્ણય લીધો છે. આ પહેલા કંપનીએ 14 માર્ચે પણ ભાડામાં વધારો કર્યો હતો. કંપનીના જણાવ્યા અનુસાર, આ નિર્ણય એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે જેટ ફ્યુઅલની કિંમતોમાં વધારાને કારણે લેવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) અનુસાર, છેલ્લા એક મહિનામાં ફ્યુઅલની કિંમતો 130%થી વધુ વધી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. 'ધુરંધર-2'એ 13 દિવસમાં વર્લ્ડવાઇડ 1435 કરોડ કમાયા:ચોથી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની; પુષ્પા-2, બાહુબલી-2નો પણ રેકોર્ડ તૂટશે! રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ (ધુરંધર: ધ રિવેન્જ) બોક્સ ઓફિસ પર સતત રેકોર્ડ બનાવી રહી છે. 13 દિવસમાં ફિલ્મે 1435 કરોડનું વર્લ્ડવાઇડ કલેક્શન કરી લીધું અને RRRના ઓલ ટાઈમ કલેક્શનને પાછળ છોડી દીધું. આ સાથે જ તે ભારતની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ઇન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્સ અનુસાર, ફિલ્મે 13મા દિવસે (બીજા મંગળવારે) 33.22 કરોડ અને સોમવારે 30 કરોડ કમાયા. આ સાથે વર્લ્ડવાઇડ કલેક્શન 1435 કરોડ અને ઇન્ડિયન કલેક્શન 1077 કરોડ થઈ ગયું છે. 1435 કરોડના કલેક્શન સાથે ધુરંધર બોલિવૂડની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. તેણે તેના પાછલા પાર્ટનો રેકોર્ડ તોડ્યો, પરંતુ હજુ પણ આમિર ખાનની દંગલ (2200 કરોડ)થી પાછળ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. સ્થાનિક સ્વરાજ્યની 10,005 બેઠકની એક જ તબક્કામાં 26 એપ્રિલે ચૂંટણી:28મીએ મતગણતરી, 4.18 કરોડ મતદાર; આચારસંહિતાનો અમલ શરૂ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતા આજથી જ આદર્શ આચારસંહિતાનો અમલ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓ માટે એક જ દિવસે 26મી એપ્રિલને રવિવારે મતદાન યોજાશે. મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જો કોઈ સ્થળે પુનઃ મતદાનની જરુર પડે તો 27 એપ્રિલે યોજાશે. 28મી એપ્રિલે તમામ સંસ્થાઓની મતગણતરી અને પરિણામ જાહેર કરાશે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 10 ગુંઠા જમીનનું પણ ખરીદ-વેચાણ થઈ શકશે:વિવાદ ન હોય તો જમીન-મકાનની એ જ દિવસે વેચાણની 'પાકી એન્ટ્રી' થશે, રાજ્ય સરકારે કરેલા મહેસૂલી સુધારાઓનું A TO Z રાજ્ય સરકારે ટુકડાધારા કાયદામાં પણ ઐતિહાસિક સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો છે, જેમાં રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ અમલમાં આવશે. 1948થી લાગુ પડેલા ટુકડાધારા કાયદામાં પ્રથમ વખત મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં હવે ઓછામાં ઓછી 10 ગુંઠા જમીનનું ખરીદ-વેચાણ થઈ શકશે. જે પહેલાં 20 ગુઠાએ થતું હતું. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં જમીનનું લઘુતમ ક્ષેત્રફળ નક્કી કર્યું છે. ગુંઠા જમીન એટલે 1,089 સ્કે. ફૂટ થાય, તેથી 10 ગુંઠા જમીન હોય તો 10,890 સ્કે. ફૂટ થાય. જ્યારે 135-ડીની નોટિસના સમયમાં ફેરફાર કરાયો છે, જે પહેલાં 30 દિવસનો પિરિયડ હતો, જેને હવે ઘટાડીને 7 દિવસ કરવામાં આવ્યો છે. વિવાદ ન હોય તો જમીન-મકાનની એ જ દિવસે વેચાણની 'પાકી એન્ટ્રી' થશે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : PM મોદીએ કહ્યું- કોંગ્રેસના રાજકુમારની હારની સેન્ચ્યુરી નક્કી:આસામમાં ભાજપ જીતની હેટ્રિક કરશે, રાજ્યની ઓળખ ચા અને ચિપથી થશે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : રિપોર્ટ- ઈરાન યુદ્ધમાં UAE સામેલ થઈ શકે છે:હોર્મુઝને બળજબરીથી ખોલવામાં અમેરિકાને મદદ કરશે; UNમાં સુરક્ષા દળ માટે પ્રસ્તાવ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ચાની પત્તીઓ તોડતા શીખ્યા પછી સેલ્ફી પડાવી:PM મોદીનો ચાના બગીચામાં અનોખો અંદાજ, કેરળમાં રાહુલે બસમાં મુસાફરી કરી; જુઓ તસવીરો વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : બે ગાડીમાં આવ્યા કિડનેપર્સ, રસ્તા વચ્ચેથી બળજબરી કરી ઉઠાવી ગયા:બગદાદમાં અમેરિકી પત્રકાર કિડનેપ, અમેરિકી દૂતાવાસે ઈરાક ન જવાની સલાહ આપી હતી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : આધારકાર્ડની જન્મ તારીખ માન્ય નહીં રહે: કોમર્શિયલ સિલિન્ડર ₹218 મોંઘો થયો, રેલ ટિકિટ રિફંડ-ટોલના નિયમો બદલાયા; એપ્રિલમાં 15 મોટા ફેરફાર વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : MATCH મસાલા: બાબર ડર્યો, યુદ્ધના ભડાકા યાદ આવી ગયા?:પ્રીતિ ઝિન્ટાએ ટીશર્ટ ફેંકી ને VIDEO VIRAL; ઈન્ડિયન પ્લેયર્સે જાદુગરને ટ્રોલ કરી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : હનુમાનજીની શીખ:જીવનમાં સફળતા મેળવવા માટે માત્ર તાકાત જ નહીં, પરંતુ સમજદારી, ધૈર્ય અને સાચી વિચારસરણીની પણ જરૂર વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ કૂતરાઓ પણ સ્કૂલે જવા લાગ્યા, ખર્ચાઈ રહ્યા છે લાખો રૂપિયા ચીનમાં હવે કૂતરાઓ પણ સ્કૂલે જવા લાગ્યા છે. એક મહિલાએ તેના ડોગનું દોઢ લાખ રૂપિયામાં ‘ડોગ કિન્ડરગાર્ટન’માં એડમિશન કરાવ્યું છે. આ ફીમાં પિક-અપ, ડ્રોપ અને પર્સનાલિટી ટ્રેનિંગ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: ચંદ્ર પર ફરીથી જવામાં અમેરિકા કેમ ડરી રહ્યું છે? શું નીલ આર્મસ્ટ્રોંગનું મૂન-લેન્ડિંગ ખોટું હતું, 54 વર્ષ પછી ટ્રમ્પનો નવો પ્લાન 2. ભાસ્કર સિરીઝ : પોતાનાં બધાં જ કપડાં કાઢીને આસારામે પીડિતાને ચુંબનો કર્યાં: ભૂત ભગાડવાના નામે ઓરલ સેક્સ કર્યું, જોધપુરની પીડિતાની ખોફનાક આપવીતી, જુઓ એપિસોડ-23 3. 'હું શિવનો અવતાર, સંભોગ કર, પવિત્ર થઈ જઈશ': SIT ઓફિસર બોલ્યા- નરબલિની શંકા; 150 મહિલા પીડિત, 58 અશ્લિલ વીડિયો મળ્યા 4. જે ગુનેગારથી રાજસ્થાન પોલીસ પણ કાંપતી તેને ગુજરાતની SITએ પકડ્યો: કારની ટક્કર મારીને દબોચવાનો પ્લાન બનાવ્યો, સામે ધારિયા-લાકડીઓ લઇને ટોળું ઊભું હતું 5. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : બંગાળમાં 'દાદા' વગર પ્રોપર્ટી ડીલ શક્ય નથી: 15 કરોડમાં એક કરોડ નેતાના, TMCના જે નેતાઓ પર આરોપ તેઓ હવે BJPમાં છે 6. ગ્રાઉન્ડ રિપોર્ટ : 'મારા પતિનો હાથ કાપ્યો હતો, બદલો લેતા રહીશું': RSSની 5000 શાખા, 4 લાખ મેમ્બર, 300 સ્વયંસેવકોની હત્યા; BJP ફેલ કેમ? 7. આસામનું મંદિર, જ્યાં દેવીને યોનિ રૂપમાં પૂજાય છે: 'રજસ્વલા'માં લાલ થઈ જાય છે બ્રહ્મપુત્રનું પાણી; અહીંના આશીર્વાદથી બને છે સરકાર કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ:કર્ક રાશિના જાતકોને સરકારી નોકરીમાં સારા સમાચાર મળશે, તુલા રાશિ માટે પ્રોપર્ટી કે ઘરની ખરીદીના યોગ વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 5:00 am

સાળંગપુર ધામમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી:8 કિલો પ્યોર સોનામાંથી બનેલા સુવર્ણ વાઘા ધારણ કરશે શ્રીકષ્ટભંજનદેવ, 151 કિલોની કેક અને 1 લાખ બલૂન ડ્રોપિંગ સાથે જન્મોત્સવ મનાવાશે

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે 'શ્રી હનુમાન જયંતી' કૃતજ્ઞતા મહામહોત્સવનો અત્યંત શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે પ્રારંભ થયો છે. 1 અને 2 એપ્રિલ 2026 દરમિયાન આયોજિત આ દ્વિ-દિવસીય મહોત્સવ અંતર્ગત ગઈકાલે બુધવારે સવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનું ઐતિહાસિક અને દિવ્ય 'રાજોપચાર પૂજન' કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાત્રે કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા પાસે મહાઆરતી કરવામાં આવી હતી. કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા પાસે મહાઆરતી બાદ કાઉન્ટડાઉન પૂર્ણ થતાંની સાથે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. આજે 2જી એપ્રિલે હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાશે, જેમાં વહેલી સવારે મંગળા આરતી બાદથી આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સવારે 5 વાગ્યે મંગળા આરતી, 7 વાગ્યે શણગાર આરતીવહેલી સવારે 5 વાગ્યે મંગાળા આરતીથી જ દાદાના દિવ્ય દર્શન થશે. આતશબાજી સાથે દાદાનું સ્વાગત કરવામાં આવશે. 7 વાગ્યે શણગાર આરતી થશે જેમાં દાદા સુવર્ણ વાઘા-સોનાના વસ્ત્રો ધારણ કરશે. 7 વાગ્યે વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ શરૂ થશે જેમાં 1000થી વધુ ભક્તો આ સામૂહિક વૈદિક યજ્ઞમાં ભાગ લેશે. 8 કિલો પ્યોર સોનામાંથી બનેલા આલૌકિક સુવર્ણ વાઘાહનુમાન જયંતીના દિવસે સાળંગપુરધામ ખાતે શ્રીહનુમાનજી મહારાજને અર્પણ કરવામાં આવનારા આલૌકિક સુવર્ણ વાઘા 8 કિલો પ્યોર સોનામાંથી બનેલા છે. આ વાઘાને તૈયાર કરવામાં 100 જેટલા સોનીઓ અને 22 ડિઝાઇનર આર્ટિસ્ટની ટીમે સતત 1050 કલાક લાગ્યા હતા. પ્રાચીન અને અર્વાચીન શૈલીવાળા આ વાઘામાં રિયલ ડાયમંડ, રુબિ, એમરલ્ડ સ્ટોન અને સોરોસ્કી હીરા જડવામાં આવ્યા છે. સંતોના માર્ગદર્શન હેઠળ ઝીણવટપૂર્વક તૈયાર થયેલી આ ડિઝાઇનમાં 3ડી વર્ક, બિકાનેરી મીણો, પેન્ટિંગ મીણો અને ફિલિગ્રી વર્ક જેવી બારીક કલાકારીનો ઉપયોગ કરી તેને એક વર્ષના લાંબા સમયગાળા બાદ અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો. 151 કિલોની વિશાળ કેક કાપવામાં આવશે, એક લાખ ફુગ્ગા છોડાશેસાળંગપુર ખાતે આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર અત્યારે ભક્તિના રંગે રંગાયું છે. આ વર્ષે સાળંગપુર ધામમાં ગુજરાતની સૌથી ભવ્ય હનુમાન જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 151 કિલોની વિશાળ કેક કાપીને હનુમાનજીનો જન્મોત્સવ મનાવવામાં આવશે. જન્મોત્સવની ઉજવણીમાં આકાશમાંથી એક લાખ ફુગ્ગાઓ છોડવામાં આવશે. મહા અન્નકૂટ, મહા અન્નક્ષેત્રસવારે 10 કલાકે, દર્શને આવનાર દરેક ભક્તો માટે મહા અન્નક્ષેત્રમાં પ્રસાદનો લાભ મળશે. 11 કલાકે શ્રી કષ્ટભંજન દેવને વિવિધ વાનગીઓનો અન્નકૂટ અર્પણ કરવામાં આવશે. મહા સંધ્યા આરતીસાંજે 7 કલાકે,શ્રીકષ્ટભંજનદેવની સંતો - ભક્તો એવં તાસા ગ્રુપ નાસિક ઢોલ તથા હજારો દિવડાઓથી અને ભવ્ય આતશબાજી દ્વારા સામુહિક આરતી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 4:55 am

સેન્સ પ્રક્રિયાના પહેલા દિવસે 776ની દાવેદારી:વડોદરા મહાનગરપાલિકામાં ભાજપના દાવેદારોનો રાફડો ફાટ્યો, આજે બાકી રહેલા વોર્ડની સેન્સ પ્રક્રિયા

વડોદરા શહેરમાં મહાનગપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે વિવિધ ચાર ઝોનમાં તબક્કાવાર વોર્ડવાર દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. જોકે, આ સેન્સ પ્રક્રિયા સવારે 9 કલાકથી શરુ થવાની હતી પરંતુ, તમામ ઝોનમાં નિરીક્ષકો અંદાજે બે કલાક મોડા આવ્યા હતા. જેથી, 11 વાગ્યે સેન્સ પ્રક્રિયા શરુ થઇ હતી. પ્રથમ દિવસે વિવિધ ચાર ઝોનમાં 10 વોર્ડની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. સેન્સ પ્રક્રિયામાં દાવેદારોનું લાંબુ લિસ્ટ સામે આવ્યું મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે ભાજપના કાર્યકરોની હોડ લાગી હતી. ભાજપ એ સૌથી મોટી રાજકીય પાર્ટી છે, જેથી સ્વાભાવિક છે તમામ કાર્યકર્તાઓને હોદ્દાની આશા હોય. પાયાના કાર્યકરો વર્ષો સુધી પક્ષ માટે તન, મન, ધનથી કામ કરતા હોય તો ચૂંટણી લડવાની ઈચ્છા સ્વાભાવિક બને છે ત્યારે સેન્સ પ્રક્રિયામાં દાવેદારોનું લાંબુ લિસ્ટ સામે આવ્યું છે. 10 વોર્ડ માટે 776 જેટલા દાવેદારો નોંધાયા છે. જેમાં બુથ ઇન્ચાર્જથી માંડી વર્તમાન કોર્પોરેટરોનો સમાવેશ થાય છે. બાકીના વોર્ડની સેન્સ પ્રક્રિયા આજે યોજાશેવડોદરા શહેરમાં આજે સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે વિવિધ ઝોનમાં વોર્ડવાર દાવેદારોએ કતાર લગાવી હતી. સવારે 11 કલાકે શરુ થયેલી પ્રક્રિયા સાંજે 8 કલાક સુધી ચાલી હતી. કેટલાક ઝોનમાં તો તેના કરતા પણ મોડું થયું હોવાનું જાણવા મળ્યું છે. બાકી રહેલા વોર્ડની સેન્સ પ્રક્રિયા આજે યોજવામાં આવશે ત્યારે વડોદરા શહેરમાં 76 બેઠકો માટે ભાજપના જ 2000થી વધુ દાવેદારો નોંધાય તો નવાઈ નહીં મોટાભાગના વર્તમાન કોર્પોરેટરોએ દાવેદારી નોંધાવીસેન્સ પ્રક્રિયા દરમિયાન મોટા ભાગના વર્તમાન કોર્પોરેટરોએ દાવેદારી નોંધાવી છે. જો કે જે અગ્રીમ હરોળના પદાધિકારીઓ હતા તેઓ પણ સેન્સ પ્રક્રિયા માટે અન્ય જિલ્લાઓમાં ગયા હોવાથી તેઓએ આગલા દિવસે જ કાર્યાલય ખાતે પોતાની દાવેદારી નોંધાવી ફોર્મ ભરી દીધું હતું. ત્યારે પ્રથમ દિવસે ચાર ઝોનમાં મોટા ભાગના નવા ચહેરા જોવા મળ્યા હતા. ત્યારે હવે ભાજપ દ્વારા નવા ચહેરાઓને સમાવવામાં આવે કે પછી જુના જોગીઓ ઉપર જ પસંદગીનો કળશ ઢોળવામાં આવે છે તે જોવું રહ્યું. પ્રથમ દિવસે થયેલ સેન્સ પ્રક્રિયામાં વોર્ડવાર ઉમેદવારોની સંખ્યા

દિવ્ય ભાસ્કર 2 Apr 2026 12:05 am

મધ્ય પૂર્વ સંકટ પર PM મોદીની અધ્યક્ષતામાં બીજી CCS બેઠક, કહ્યું-'જનતા પર યુદ્ધની અસર ન પડવી જોઈએ'

West Asia Conflict: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે PM આવાસ પર સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ(CCS)ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. યુદ્ધ વચ્ચે CCSની આ બીજી વિશેષ બેઠક હતી. બેઠકમાં વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરવામાં આવી હતી અને આગળની રણનીતિ પર વિગતવાર ચર્ચા થઈ હતી. આ દરમિયાન PM મોદીએ કહ્યું કે 'સુનિશ્ચિત કરવામાં આવે કે યુદ્ધની અસર જનતા પર ન પડે.' દરેક શક્ય પગલાં લેવામાં આવે: PM મોદી

ગુજરાત સમાચાર 1 Apr 2026 11:48 pm

ઝીણીપોળ યુથ ક્લબે બહુચરાજી પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજ્યો:મોઢેરા કેનાલ પાસે 800 કિલો કોથમીર વડીનું વિતરણ કરાયું

ચૈત્રી નવરાત્રી નિમિત્તે બહુચરાજી મેળામાં પૂનમના દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે ઝીણીપોળ યુથ ક્લબ દ્વારા મોઢેરા કેનાલ નજીક વિશેષ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પદયાત્રીઓને 800 કિલો કોથમીર વડી અને પીવાના પાણીનું વિતરણ કરીને સેવા પૂરી પાડવામાં આવી હતી. મોઢેરા કેનાલની બાજુમાં આવેલા પેટ્રોલ પમ્પ પાસે આ સેવા કેમ્પ કાર્યરત કરવામાં આવ્યો હતો. અહીં ખાસ કરીને બહુચરાજી તરફ જતા શ્રદ્ધાળુઓ માટે કોથમીર વડીનો નાસ્તો અને પીવાના પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સમગ્ર આયોજન દરમિયાન અંદાજે 800 કિલો કોથમીર વડીનું પદયાત્રીઓ અને વાહન ચાલકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. માર્ગ પરથી પસાર થતા મોટી સંખ્યામાં ભક્તો અને ચાલકોએ આ સેવા કેમ્પનો લાભ લીધો હતો. આ સેવા કાર્યમાં ઝીણીપોળ યુથ ક્લબના પ્રમુખ ગોવિંદ પટેલ, ઉપ પ્રમુખ હિતેશ પટેલ, મંત્રી નીતિન પટેલ, ખજાનચી હિતેશ પટેલ, સહમંત્રી રાકેશ પટેલ તેમજ સંગઠન મંત્રી રાહુલ પટેલ સહિત ક્લબના અન્ય સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સેવા આપી હતી.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 10:49 pm

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા ચૂંટણી:ભાજપ કાર્યાલય ખાતે બે દિવસીય સેન્સ પ્રક્રિયા શરૂ

સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. નમો કમલમ્ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બે દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયામાં ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય મહેશભાઈ મોદી, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ અને પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા છે. તેઓ દાવેદારો અને કાર્યકરો પાસેથી અભિપ્રાય મેળવી રહ્યા છે. મહાનગરપાલિકાની ચૂંટણી પ્રથમ વખત યોજાતી હોવાથી ભાજપમાં દાવેદારોની મોટી સંખ્યા જોવા મળી રહી છે. નમો કમલમ્ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે દાવેદારી નોંધાવવા માટે કાર્યકરોની લાંબી કતારો લાગી હતી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડ માટે આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દરેક વોર્ડ દીઠ ચાર સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરીને પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે. કુલ 52 સભ્યો ચૂંટણી લડી શકશે. આજે વોર્ડ નંબર 1 થી 7 માટે ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આવતીકાલે વોર્ડ નંબર 8 થી 13 માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે, જેના કારણે કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 10:41 pm

અસારવા-ખેડબ્રહ્મા મેમુ હિંમતનગર 20 મિનિટ મોડી પહોંચી:પ્રથમ દિવસે મુસાફરોની ભીડ, રાત્રે 8 વાગ્યે રવાના થઈ

અસારવા-ખેડબ્રહ્મા મેમુ ટ્રેન સેવા આજથી શરૂ થઈ છે. પ્રથમ દિવસે આ ટ્રેન હિંમતનગર રેલવે સ્ટેશન પર નિર્ધારિત સમય કરતાં આશરે 20 મિનિટ મોડી રાત્રે 7:56 વાગ્યે પહોંચી હતી. ચાર મિનિટના વિરામ બાદ રાત્રે 8:00 વાગ્યે તે ખેડબ્રહ્મા તરફ રવાના થઈ હતી. ઉલ્લેખનીય છે કે, નવ વર્ષના લાંબા ગાળા બાદ આ રૂટ પર રેલવે સેવા પુનઃ શરૂ થઈ છે. ગઈકાલે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડબ્રહ્માથી નવી મેમુ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવી સેવા શરૂ થતા આ રૂટના તમામ ગ્રામજનોએ તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આજથી અસારવાથી નિયમિત મેમુ સેવા શરૂ થતા હિંમતનગર રેલવે સ્ટેશન પર મુસાફરોની નોંધપાત્ર ભીડ જોવા મળી હતી. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં મુસાફરો આ ટ્રેનમાંથી ઉતરતા અને ચડતા જોવા મળ્યા હતા, જે આ રૂટ પરની રેલવે સેવાની જરૂરિયાત દર્શાવે છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 10:30 pm

લાઠોદ્રા રોડ પરથી MD ડ્રગ્સ ઝડપાયું:જુનાગઢમાં નશાના સોદાગરો પર પોલીસની ત્રાટકતી તલવાર: 19 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે 21 વર્ષીય યુવાનની ધરપકડ, ડ્રગ્સ નેટવર્ક શોધવા તપાસ તેજ

​જૂનાગઢ જિલ્લામાં નશાના કારોબારને જડમૂળથી ખતમ કરવા માટે પોલીસ વિભાગ દ્વારા આક્રમક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન માળિયા હાટીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂનાગઢ એસ.ઓ.જી. ટીમે એક મોટી સફળતા હાંસલ કરી છે. લાઠોદ્રા ગામ પાસે બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે એક શખ્સને પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ ના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે. યુવા પેઢીને નશાના રવાડે ચડાવતા આ દૂષણ સામે પોલીસે લાલ આંખ કરી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. જૂુનાગઢ જિલ્લામાં નશીલા પદાર્થોનું વેચાણ અને હેરાફેરી કરતા તત્વોને ડામી દેવા માટે એસ.ઓ.જી.ની ટીમ સતત પેટ્રોલિંગ અને તપાસમાં હતી. તે દરમિયાન પોલીસ સ્ટાફને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે લાઠોદ્રા ગામનો નરવિરસિંહ બાલુભાઈ લાખાણી નામનો શખ્સ પોતાની બર્ગમેન મોપેડ પર ડ્રગ્સનો જથ્થો છુપાવીને વેચાણ કરવાના ઈરાદે પાણીધ્રા પાટીયા તરફ જઈ રહ્યો છે. ​બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે તાત્કાલિક લાઠોદ્રાથી પાણીધ્રા પાટીયા તરફના માર્ગ પર આવેલા જેટકો 66 કે.વી. સબસ્ટેશન સામે વ્યૂહાત્મક વોચ ગોઠવી હતી. થોડી જ વારમાં બાતમી મુજબનો ઇસન ત્યાંથી પસાર થતા પોલીસે તેને કોર્ડન કરીને આંતરી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તે ગભરાઈ ગયો હતો અને તેની અંગઝડતી લેતા 21 વર્ષીય નરવિરસિંહ પાસેથી 19.15 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 57,450 રૂપિયા થાય છે. પોલીસે ડ્રગ્સ ઉપરાંત 10,000ની કિંમતનો મોબાઈલ અને 30,000ની કિંમતનું મોપેડ મળી કુલ 97,450 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત કરી છે. ​આ ઘટનામાં એક અન્ય આરોપી અજય માણસુરભાઇ લાખાણીનું નામ પણ ખુલ્યું છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો મુખ્ય સપ્લાયર કોણ છે? નશાનું આ ઝેર અત્યારે યુવાધનને ખોખલું કરી રહ્યું છે. મેફેડ્રોન ડ્રગ્સ જેવા ખતરનાક નશાના કારણે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે, ત્યારે પોલીસની આ કામગીરીથી નશાના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.માળિયા હાટીના પોલીસે આ મામલે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 10:27 pm

કાલોલમાં પિંગળી રેલવે ફાટક નં.33 એક મહિના માટે બંધ:રેલવે ઓવરબ્રિજની કામગીરીના અંતિમ તબક્કા, કાલોલ તાલુકામાં વૈકલ્પિક રૂટ જાહેર કરાયો

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલા પિંગળી રેલવે ફાટક નંબર 33 ને આગામી એક મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રેલવે ઓવરબ્રિજની કામગીરીના અંતિમ તબક્કાને કારણે આ ફાટક 1 એપ્રિલથી 1 મે સુધી વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યા છે. ડેરોલ સ્ટેશન નજીક આવેલા આ રેલવે ક્રોસિંગ (એલ.સી. 33) પર રેલવે ઓવરબ્રિજ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. જાહેર જનતાની સલામતી અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવાના હેતુથી વહીવટી તંત્ર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા કલેક્ટર જે.જે. પટેલ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા મુજબ, 1 એપ્રિલથી 1 મે, 2024 સુધી તમામ પ્રકારના નાના-મોટા વાહનવ્યવહાર માટે આ ફાટક સંપૂર્ણપણે બંધ રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મુસાફરો અને વાહનચાલકોને અગવડતા ન પડે તે માટે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ચાલકો ફાટક નંબર 33 નજીક આવેલા ડેરોલ રેલવે સ્ટેશન પાસેના આર.યુ.બી. નંબર 32 નો ઉપયોગ કરી શકશે. જ્યારે ભારે વાહનો માટે લાંબા અંતરના અન્ય ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરવો પડશે. રેલવે ઓવરબ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે હેતુથી લેવાયેલા આ નિર્ણયને સ્થાનિક ગ્રામ પંચાયતો અને પંથકના આગેવાનોએ પણ સમર્થન આપ્યું છે. બ્રિજ બની જવાથી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે હલ થશે, જેથી જનતાને સહકાર આપવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 10:24 pm

ટ્રેનમાં બેઠેલા વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ:રૈયાગામના તળાવ પાસેથી 15.72 લાખનો અંગ્રેજી દારૂ ઝડપાયો, દારૂની હેરાફેરી માટે વાહનો પર ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કર્યો'તો

રાજકોટ શહેરના રૈયા ગામ પાછળના ભાગે તળાવ પાસે આવેલી બાવળની ઝાડીઓમાં દારૂનું મોટાપાયે કટિંગ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે ડી.સી.બી. પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ ઓપરેશન દરમિયાન પોલીસે સ્થળ પરથી એક આરોપી નવીન લક્ષ્મીદાસ દામાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ શખ્સો અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસની આ તપાસમાં અશોક લેલન મેક્ષીટ્રક અને ફોક્સવેગન વેન્ટો કાર જેવી લક્ઝરી ગાડીઓમાંથી વિદેશી દારૂની કુલ 1,644 બોટલો મળી આવી છે, જેની કિંમત અંદાજે 15,72,400 થાય છે. પોલીસે દારૂ, વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.21,47,400 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીએ કબૂલાત આપતા જણાવ્યું હતું કે દારૂનો જથ્થો રવિ મનસુખભાઈ નાખવા અને નવાબ નામના શખ્સોનો છે. દરોડા વખતે રવિ નાખવા, નવાબ અને તેનો ભાઈ અંધારાનો અને ઝાડીઓનો લાભ લઈને ભાગી ગયા હતા જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે વાહનો પર ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ટ્રેનમાં બેઠેલા વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ​મૂળ નોઇડાના કરુણાદેવી રાકેશસિંહ રાજપુત પોતાના પરિવાર સાથે દિલ્હી-રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાં રાજકોટ આવ્યા હતા. અહીંથી તેઓને સોમનાથ જવાનું હોવાથી તેઓ પ્લેટફોર્મ નંબર 1 પર ઉભેલી ટ્રેન નંબર 11466ના સ્લીપર કોચમાં બેઠા હતા. બપોરે અંદાજે 1.35 વાગ્યે ટ્રેન ઉપડી ત્યારે બારી પાસે બેઠેલા કરુણાદેવીના ગળામાં હાથ નાખી એક અજાણ્યો શખ્સ સોનાનો ચેઇન તોડીને ટ્રેનની બીજી તરફ ઉતરીને ભાગી ગયો હતો. આ ઘટના બાદ વૃદ્ધાએ તાત્કાલિક રેલ્વે હેલ્પલાઇન 139 પર સંપર્ક કર્યો હતો. તેમની મુસાફરી ચાલુ હોવાથી પ્રાથમિક જાણ વેરાવળ રેલ્વે પોલીસને કરવામાં આવી હતી અને ત્યારબાદ આ મામલો રાજકોટ રેલ્વે પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. ચોરાયેલા સોનાના ચેઇનની કિંમત આશરે 39,000 રૂપિયા દર્શાવવામાં આવી છે. હાલ રાજકોટ રેલ્વે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ બી.એન.એસ. (BNS) ની કલમ 304(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 10:09 pm

નવી કોર્ટ બિલ્ડિંગના લોકેશન પર સસ્પેન્સ ખતમ:તાપી કિનારે મગદલ્લામાં બનશે 181 કરોડના ખર્ચે 77,951 ચો.મી. જમીન પર આકાર પામશે અત્યાધુનિક કોર્ટ બિલ્ડિંગ

સુરતની નવી જિલ્લા અદાલત ક્યાં બનશે? વર્ષોથી વકીલ આલમ અને સુરતની જનતામાં ચાલી રહેલી અટકળો અને વિવાદોનો આજે અંત આવ્યો છે. સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારધી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા મગદલ્લા ખાતેની કિંમતી જમીનને નવી કોર્ટ બિલ્ડિંગ માટે હેતુફેર કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. અગાઉ જીયાંવ ખાતે ફાળવાયેલી જમીનનો વકીલો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ હાઈકોર્ટની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટી અને વકીલ મંડળની રજૂઆતોને ધ્યાને રાખીને આખરે તાપી નદીના કિનારે મગદલ્લામાં નવું ન્યાયધામ બનાવવાનો માર્ગ મોકળો થયો છે. આ નિર્ણયથી વકીલોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. જીયાંવની જમીન કેમ રદ થઈ? વકીલોનો વિરોધ રંગ લાવ્યોઅગાઉ જૂન 2019માં કલેક્ટરના હુકમથી મોજે જીયાંવ ખાતે 50,000 ચો.મી. જમીન કોર્ટ બિલ્ડિંગ માટે ફાળવવામાં આવી હતી. જોકે, સુરત જિલ્લા વકીલ મંડળ અને સુરત સિટી એડવોકેટ એસોસિએશન દ્વારા આ સ્થળને લઈને નામદાર ચીફ જસ્ટિસ સુધી રજૂઆતો કરવામાં આવી હતી. વકીલોની દલીલ હતી કે જીયાંવ વિસ્તાર પ્રદૂષણ અને અંતરની દૃષ્ટિએ યોગ્ય નથી. આ મામલે જાન્યુઆરી 2026માં હાઈકોર્ટની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટી અને હોદ્દેદારો વચ્ચે બેઠક મળી હતી, જેમાં મગદલ્લાની જમીનને વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવી હતી. આખરે વકીલોની લડત સફળ રહી છે અને શહેરની મધ્યમાં કહી શકાય તેવા મગદલ્લા વિસ્તાર પર મંજૂરીની મહોર વાગી છે. 181.11 કરોડના ખર્ચે બનશે સુરતનું નવું ન્યાયધામમાર્ગ અને મકાન વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ, સુરતની આ નવી જિલ્લા કોર્ટના બાંધકામ માટે કુલ 181,11,00,000 (એકસો એક્યાસી કરોડ અગિયાર લાખ)ની માતબર રકમની વહીવટી મંજૂરી પ્રદાન કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે 25 માર્ચ 2026ના રોજ ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ ખાતે નાયબ મુખ્યમંત્રી, હાઈકોર્ટની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીના મેમ્બર્સ અને કાયદા વિભાગના સેક્રેટરીઓની હાજરીમાં મળેલી હાઈલેવલ મીટિંગમાં આ બજેટ અને સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગ સુરતની વધતી જતી વસ્તી અને આગામી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાને રાખીને અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવશે. મગદલ્લા ટી.પી. સ્કીમ નંબર-4 (રુંઢ-મગદલ્લા) માં જમીન ફાળવણીકલેક્ટરના હુકમ મુજબ મગદલ્લા ગામની સર્વે/બ્લોક નંબર 2-1 વાળી જમીન જે અગાઉ ગૌચર તરીકે નોંધાયેલી હતી અને માર્ગ-મકાન વિભાગને પુલના સામાન તેમજ સરકારી આવાસો માટે ફાળવવામાં આવી હતી, તેનો હેતુફેર કરવામાં આવ્યો છે. આ જમીન ટી.પી. સ્કીમ નંબર-4 (રુંઢ-મગદલ્લા) હેઠળ આવે છે, જેમાં એફ.પી. નંબર 55 (ક્ષેત્રફળ 77,951 ચો.મી.)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય પ્લોટ્સ પણ ફાળવણીમાં છે. આ વિશાળ જમીન હવે સત્તાવાર રીતે જિલ્લા ન્યાયાલયના ભવન માટે અનામત કરી દેવામાં આવી છે. તાપી નદીના બ્રિજ નજીક આવેલી આ જગ્યા પરિવહન અને વાતાવરણની દૃષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવી રહી છે. હાઈકોર્ટના 3 જજોએ રૂબરૂ નિરીક્ષણ કરી મંજૂરી આપી હતીનોંધનીય છે કે, 21 ફેબ્રુઆરી 2026ના રોજ નામદાર હાઈકોર્ટની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીના ત્રણ માનનીય ન્યાયમૂર્તિઓએ સુરતની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ કમિટીએ મગદલ્લા ખાતે આવેલી સરકારી જમીનનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન આ સ્થળ વકીલો, અસીલો અને ન્યાયિક પ્રક્રિયા માટે અત્યંત અનુકૂળ હોવાનું જણાયું હતું. મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ દ્વારા પણ આ જમીન ફાળવવા માટે જરૂરી વહીવટી હુકમ કરવા રજૂઆત કરી હતી, જેના પગલે કલેક્ટરે આજે આખરી હુકમ જારી કર્યો છે. હવે અન્ય ઉપયોગ પર રહેશે પ્રતિબંધકલેક્ટરના હુકમમાં સ્પષ્ટ જણાવાયું છે કે અગાઉ જે જમીન તાપી નદીના પુલની સાધન સામગ્રી રાખવા અને સરકારી કર્મચારીઓના આવાસો માટે ફાળવવામાં આવી હતી, તેનો ઉપયોગ હવે માત્ર જિલ્લા ન્યાયાલયના કોર્ટ બિલ્ડિંગના બાંધકામ માટે જ કરી શકાશે. આ જમીનનો હેતુફેર (Land Use Change) કરવામાં આવ્યો છે. શરત મુજબ કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના આ જમીનનો અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં. આ નિર્ણયથી સુરતના વકીલ આલમમાં ભારે રાહત અને હર્ષની લાગણી છે કારણ કે તેમને આખરે પોતાની મનગમતી અને અનુકૂળ જગ્યા મળી ગઈ છે.સુરત માટે આ નિર્ણય ગેમ-ચેન્જર સાબિત થશે, કારણ કે મગદલ્લાનું લોકેશન શહેરના તમામ વિસ્તારોથી સરળતાથી એક્સેસ કરી શકાય તેમ છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 10:06 pm

વેરાવળ નગરપાલિકાની 44 બેઠકો માટે 300 થી વધુ દાવેદારી:ભાજપમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો, નિર્ધારિત સમય કરતાં વધુ સેન્સ પ્રક્રિયા ચાલી

વેરાવળ નગરપાલિકાની 44 બેઠકો માટે ભાજપમાં ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો છે. કુલ 300થી વધુ દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવતા પક્ષ માટે ઉમેદવાર પસંદગી એક મોટી કસોટી બની ગઈ છે. પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં આજે સવારથી વેરાવળ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે 50થી વધુ દાવેદારી નોંધાઈ હતી. બપોરે 2 વાગ્યાથી વેરાવળ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. નિર્ધારિત સમય મુજબ આ પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધીમાં પૂર્ણ થવાની હતી. જોકે, નગરસેવક બનવા ઈચ્છુક આગેવાનો અને કાર્યકરોની ભારે ભીડને કારણે સમય મર્યાદા લંબાવવાની ફરજ પડી હતી. પરિણામે, સેન્સ પ્રક્રિયા મોડી રાત સુધી ચાલુ રાખવામાં આવી હતી. ભાજપમાં વધતી દાવેદારી દર્શાવે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે સ્પર્ધા વધુ કઠિન બનશે. ટિકિટ વિતરણ દરમિયાન પક્ષને આંતરિક સંતુલન જાળવવું પડકારરૂપ બની શકે છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 9:58 pm

રાજકોટમાં રાજ્યકક્ષાનો અગ્નિવીર ભરતી મેળો:મનપાએ રૂ.455.80 કરોડના લક્ષ્યાંક સામે રૂ.447.93 કરોડના વેરાની વસૂલાત કરી, 12 મીએ UPSC ની પરીક્ષા

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે મિલ્કત વેરાના રૂ.455.80 કરોડના મુળ લક્ષ્યાંકની સામે રૂ.447.93 કરોડની વસુલાત થઈ છે. ગત નાણાકિય વર્ષ કરતા 8.44% ની વૃદ્ધિ સાથે ચાલુ નાણાકિય વર્ષમાં કુલ 34.44 કરોડ વધારાની આવક કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2025-26 માં કુલ 6,10,931 મિલકત પૈકી 4,63,564 મિલકતોનો વેરો ભરાયેલ છે.આમ, ગત વર્ષ 2024-25 ની સાપેક્ષમાં 43,905 વધુ મિલકતોમાં વેરાની વસુલાત થવા પામી છે. આમ કુલ મિલકતધારકોમાંથી 75.75% મિલકતધારકોએ ચાલુ વર્ષે વેરાની ભરપાઈ કરેલ છે. કુલ આવક અને કુલ કરદાતાઓને ધ્યાને લેતા, રેસીડન્સ કેટેગરીમાં કુલ 3,47,274 કરદાતાઓએ રૂ.204.90 કરોડનો વેરો ભરપાઇ કરેલો છે. જયારે નોન રેસીડન્સ કેટેગરીમાં કેટેગરીમાં કુલ 1,15,534 કરદાતાઓએ રૂ. 242.34 કરોડનો વેરો ભરપાઇ કરેલો છે. ચાલુ વર્ષે બજેટ સમયે ફેબ્રુઆરી 2026 માં જાહેર કરાયેલ વ્યાજ માફી યોજનાને પણ ખુબજ પ્રચંડ પ્રતિસાદ મળેલો છે. કુલ 45,967 મિલકતધારકોએ વ્યાજ માફી સ્કીમનો લાભ લીધેલ છે. જે પૈકી 33,471 રેસીડન્સ કેટેગરીના મિલકત ધારકો અને 12,496 નોન રેસીડન્સ કેટેગરીના મિલકત ધારકોએ વ્યાજ માફી સ્કીમનો લાભ લીધેલ છે. આ મિલકત ધારકોએ કુલ મળીને રૂ. 78.66 કરોડની રકમ ભરપાઇ કરેલી છે. રાજકોટમાં રાજ્યકક્ષાનો અગ્નિવીર ભરતી મેળો, 16 દિવસમાં 9200 યુવાનો ઉમટવાનો અંદાજ રાજકોટના રેસકોર્સ સ્ટેડિયમ ખાતે રાજ્યભરના યુવાનો માટે ભારતીય સેના દ્વારા અગ્નિવીર ભરતી રેલીનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. 24 માર્ચથી શરૂ થયેલી આ ભરતી પ્રક્રિયા 8 એપ્રિલ સુધી ચાલશે. આ ભરતી મેળામાં રાજ્યના તમામ 34 જિલ્લાઓ અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે 9200 જેટલા ઉમેદવારો ભાગ લે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આખી પ્રક્રિયાને સફળ બનાવવા માટે ભારતીય સેના અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝીણવટભરી તૈયારીઓ કરવામાં આવી છે.રાજકોટ ખાતેની ઇન્ફન્ટ્રી બ્રિગેડના સહયોગથી ભરતી સ્થળે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ આયોજનમાં રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા કલેક્ટર કચેરી, રોજગાર નિયામકની કચેરી તેમજ આરોગ્ય અને શિક્ષણ વિભાગનો મહત્વનો સહયોગ મળી રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે. ભરતી પ્રક્રિયા માટે ડિજિટલાઈઝેશન ડ્રાઈવ હેઠળ તમામ પ્રક્રિયાઓ ઈલેક્ટ્રોનિક અને મેરિટ આધારિત રાખવામાં આવી છે. ભારતીય સેનામાં પસંદગી સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શક રીતે કરવામાં આવે છે. ઉમેદવારો કોઈપણ ભરતી એજન્ટ કે અસામાજિક તત્વોની લાલચમાં ન આવીને કોઈપણ તબક્કે લાંચ કે નાણાંની લેતી-દેતીમાં ન પડે અને આવી બાબતોથી દૂર રહે તે માટે ખાસ સૂચના જારી કરવામાં આવી છે. તમામ પસંદગી માત્ર યોગ્યતાના ધોરણે જ કરવામાં આવશે તેમ જામનગરની આર્મી રિક્રૂટમેન્ટ ઓફિસ દ્વારા જણાવવામાં આવ્યુ છે. રાજકોટમાં 942 ઉમેદવારો 12 મીએ UPSC ની NDA - CDA ની સ્પર્ધાત્મક પરીક્ષા આપશે યુનિયન પબ્લીક કમિશન (યુપીએસસી) દ્વારા આગામી તા.12ને રવિવારે એનડીએ-સીડીએ (નેવલ ડીફેન્સ એકેડમી-કમ્બાઈન્ડ ડીફેન્સ એકેડમી)ની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવનાર છે.જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ લેવાનાર આ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો રાજકોટ આવી પહોંચતા તેને કલેકટર કચેરીના સ્ટ્રોંગ રૂમમાં પોલીસ બંદોબસ્ત હેઠળ સીલ કરી દેવામાં આવેલ છે. રાજકોટ સહિત દેશભરના ચુનંદા કેન્દ્રો પરથી આ પરીક્ષા લેવામાં આવનાર છે. જેમાં રાજકોટ શહેરમાં પાંધી કોલેજ, સદગુરૂ કોલેજ, એવીપીટી કોલેજ અને ધર્મેન્દ્રસિંહજી કોલેજ એમ 4 સેન્ટર પરથી આ પરીક્ષા લેવાશે.જેમાં એનડીએની સ્પર્ધાત્મક પરીક્ષામાં બે પેપર અને સીડીએની પરીક્ષામાં ત્રણ પેપર ઉમેદવારોએ આપવાના રહેશે. પરીક્ષાનો સમય 9થી 5-30 કલાક સુધીનો નિયત કરવામાં આવેલ છે. રાજકોટમાં 942 ઉમેદવારો આ પરીક્ષા માટે નોંધાયા છે. મહાનગરપાલિકાના સિવિક સેન્ટરમાં અરજદારોની લાંબી કતાર લાગી મનપા સિવિક સેન્ટરમાં છેલ્લા ઘણા સમયથી અરજદારો હેરાન-પરેશાન થઈ રહ્યા છે આજે પણ સિવિક સેન્ટર ખુલે તે પહેલા જ વહેલી સવારથી અરજદારોની લાંબી કતારો લાગી હતી. જન્મ-મરણના દાખલા, વેરા બીલ સહિતના અનેકવિધ દાખલા મેળવવા અરજદારોની લાંબી કતાર જોવા મળી હતી. કામ ધંધા છોડી અનેક મહિલા પુરૂષો યુવાનો કતારમાં ઉભેલા જોવા મળ્યા હતા. વહેલી સવારથી ઉભેલા અરજદારોનો છેક બપોર સુધીમાં છુટકારો થયો હતો. કતારોમાં ઉભેલા અરજદારોમાં આક્રોશ જોવા મળ્યો હતો. લક્ષ્મણરાવ ઈનામદાર શોપીંગ સેન્ટરની 9 દુકાનોની તા.8 એપ્રિલે હરરાજી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.12માં પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્યામલ વાટિકા પાસે, ટી.પી.15(વાવડી)ના એફ.પી.51/બી હેઠળ તૈયાર થયેલ લક્ષ્મણરાવ ઇનામદાર(વકીલ સાહેબ) ટાઉનશીપના શોપીંગ સેન્ટરની દુકાનો જાહેર હરરાજી કરી વેંચાણથી આપવાની છે. આ જાહેર હરરાજી તા.8/4ના રોજ સવારે 9 કલાકેથી કરાશે. જાહેર હરરાજીમાં ભાગ લેનારે હરરાજીની તારીખના આગળના દિવસ સુધીમાં એસ્ટેટ વિભાગમાં અથવા હરરાજીના દિવસે સ્થળ પર રૂ.2,00,000 રાજકોટ મહાનગરપાલિકાના નામના ચેક અથવા ડીમાન્ડ ડ્રાફટથી ડીપોઝીટ તરીકે ભરવાનાં રહેશે. ડીપોઝીટ ભરનાર વ્યક્તિ જ હરરાજીમાં ભાગ લઇ શકશે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 9:57 pm

ટેક્નિકલ ખામીને કારણે 60 કોન્ટ્રાક્ટરો માલામાલ થયા:350 કરોડનું પેમેન્ટ બાકી હોવા છતાં કોન્ટ્રાક્ટરોનાં એકાઉન્ટમાં ભૂલથી 24 કરોડ જમા, પાલિકાના એકાઉન્ટ વિભાગની બેદરકારી સામે આવી

સુરત મહાનગરપાલિકાના એકાઉન્ટ વિભાગની એક મોટી બેદરકારી સામે આવી છે. મંગળવારે શહેરના આશરે 60 જેટલા કોન્ટ્રાક્ટરોનાં બેંક ખાતામાં કુલ 24 કરોડ રૂપિયા ભૂલથી જમા થઈ ગયા હતા. એક તરફ પાલિકા પાસે ગ્રાન્ટનો અભાવ છે અને અનેક બિલો પેન્ડિંગ છે, ત્યારે અચાનક આટલી મોટી રકમ ખાતામાં આવતા કોન્ટ્રાક્ટરોમાં અચરજ ફેલાયું હતું. જોકે, આ ખુશી લાંબો સમય ટકી નહોતી કારણ કે પાલિકાએ તાત્કાલિક એક્શન મોડમાં આવી મોડી રાત સુધીમાં તમામ વ્યવહારો રિવર્સ કરાવી દીધા હતા. બેંક ઓપરેટરની 'કોપી-પેસ્ટ' ભૂલથી ડબલ એન્ટ્રી થઈઆ સમગ્ર ગોટાળા પાછળ ખાનગી બેંકના ઓપરેટરની એક સામાન્ય ગણાતી પણ ગંભીર ભૂલ જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જૂની પેજ શીટ મુજબ ક્લિયરિંગ માટે મુકાયેલા ચેકની યાદીને કોપી-પેસ્ટ કરવામાં આવતા ડબલ એન્ટ્રી થઈ ગઈ હતી. જેના કારણે અલગ-અલગ કોન્ટ્રાક્ટરોનાં ખાતામાં 20 લાખથી લઈને સવા કરોડ રૂપિયા સુધીની રકમ વધારાની જમા થઈ ગઈ હતી. વગર કામ કર્યે એકાઉન્ટમાં પૈસા જોઈ કોન્ટ્રાક્ટરો પણ ક્ષણિક માટે મૂંઝવણમાં મુકાયા હતા. 350 કરોડનું દેવું અને 24 કરોડનો લ્હાણીઆ ઘટના ત્યારે બની છે જ્યારે પાલિકાની આર્થિક સ્થિતિ કફોડી છે. 15મા નાણા પંચ સિવાયની મોટાભાગની ગ્રાન્ટ ખૂટી પડતા વિકાસકામોના અંદાજે 350 કરોડ રૂપિયાના બિલો અટવાયેલા છે. મેગા પ્રોજેક્ટ પર કામ કરતી એજન્સીઓ પેમેન્ટની રાહ જોઈ રહી છે ત્યારે બીજી તરફ વગર માગ્યે 24 કરોડ રૂપિયા વહેંચાઈ જતાં વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. આ છબરડાને કારણે એકાઉન્ટ વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો હતો. રાત્રે 11 વાગ્યા સુધી બેંકમાં દોડધામ, તમામ પૈસા પરત ખેંચાયાજેવી ભૂલની જાણ થઈ કે તરત જ પાલિકાના એકાઉન્ટ વિભાગે બેંક મેનેજરનો સંપર્ક સાધ્યો હતો. ભૂલ સુધારવા માટે પાલિકાની ટીમ રાત્રે 11 વાગ્યા સુધી બેંકમાં અડિંગો જમાવીને બેસી રહી હતી. સદનસીબે, તમામ ટ્રાન્ઝેક્શન સમયસર રિવર્સ કરી દેવામાં આવ્યા હતા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીને નુકસાન થતું બચાવી લેવાયું હતું. કોન્ટ્રાક્ટરો જે રકમ જોઈને ખુશ થયા હતા, તે રકમ રાતોરાત ખાતામાંથી ગાયબ થઈ જતાં આ કિસ્સો સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 9:48 pm

રાજ્યમાં લાખો કોન્ટ્રાક્ટ મજૂરોના લઘુત્તમ વેતનમાં વધારો:કેટેગરી મુજબ નવા દર જાહેર, 1 એપ્રિલથી અમલ; 30 સપ્ટેમ્બર સુધી રહેશે લાગૂ

ગુજરાત રાજ્યના શ્રમ આયુક્ત કચેરી દ્વારા કોન્ટ્રાક્ટ મજૂરો (નિયમન અને નાબૂદી) અધિનિયમ હેઠળ કામ કરતા કામદારો માટે લઘુત્તમ વેતનમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. ગાંધીનગરથી બહાર પડેલા સત્તાવાર પરિપત્ર મુજબ અલગ-અલગ કેટેગરીના મજૂરો માટે દૈનિક વેતનના નવા દર નક્કી કરવામાં આવ્યા છે. નવી જાહેરાત અનુસાર અશિક્ષિત (Unskilled), અર્ધશિક્ષિત (Semi-skilled) અને કુશળ (Skilled) કામદારો માટે જુદા-જુદા દર લાગૂ કરવામાં આવ્યા છે. જેમાં મજૂરો માટે ઝોનવાઇઝ વેતન નક્કી કરવામાં આવ્યું છે. કુશળ કારીગરો માટે ઝોન-1માં 474.00 અને ઝોન-2માં 462.00 રૂપિયા, અર્ધ કુશળ કારીગરો માટે ઝોન-1માં 462.00 અને ઝોન-2માં 452.00 તેમજ બિન કુશળ માટે ઝોન-1માં 452.00 અને ઝોન-2માં 441.00 વેતન નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, પરિપત્રમાં પાસ ભથ્થા (VDA) અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. વિવિધ ઉદ્યોગ અને વ્યવસાય માટે પ્રતિદિન ભથ્થાના દરો અલગથી નક્કી કરવામાં આવ્યા છે, જે જીવન નિર્વાહ સૂચકાંક (CPI) આધારે ગણવામાં આવ્યા છે. શ્રમ વિભાગે વધુમાં જણાવ્યું છે કે, આ નવા દરો 1 એપ્રિલ, 2026થી અમલમાં આવશે અને 30 સપ્ટેમ્બર 2026 સુધી માન્ય રહેશે. આ નિર્ણયનો સીધો લાભ રાજ્યના લાખો કોન્ટ્રાક્ટ મજૂરોને મળશે, જેના કારણે તેમની આવકમાં વધારો થશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે મજૂરોના હિતમાં આવા નિર્ણયો લેવામાં આવે છે, જેથી મોંઘવારી વચ્ચે જીવનનિર્વાહ સરળ બને અને કામદારોને યોગ્ય વેતન મળી રહે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 9:16 pm

પૂર્વ સાંસદ પ્રભાતસિંહના પત્ની રંગેશ્વરીબેને દાવેદારી નોંધાવી:કાલોલ વિધાનસભાની ખરોડ બેઠક પરથી ભાજપમાં દાવેદારી રજૂ કરી

પંચમહાલના પૂર્વ સાંસદ સ્વ. પ્રભાતસિંહ ચૌહાણના પત્ની રંગેશ્વરીબેન ચૌહાણે ફરી સક્રિય રાજનીતિમાં ઝંપલાવ્યું છે. તેમણે કાલોલ વિધાનસભા અંતર્ગત આવતી ખરોડ તાલુકા પંચાયત બેઠક માટે પોતાની દાવેદારી નોંધાવી છે. આ દાવેદારી ગોધરા સ્થિત ભાજપના જિલ્લા મુખ્ય મથક 'શ્રી કમલમ' ખાતે વિધિવત રીતે રજૂ કરવામાં આવી હતી. રંગેશ્વરીબેન ચૌહાણ લાંબા સમયથી સંગઠન અને વહીવટી કામગીરીમાં બહોળો અનુભવ ધરાવે છે. સ્વ. પ્રભાતસિંહ ચૌહાણના રાજકીય વારસાને આગળ ધપાવવા અને પોતાના મજબૂત નેતૃત્વના આધારે તેમણે આ બેઠક પરથી તક મેળવવા માટે મેદાનમાં ઉતર્યા છે. તેમની રાજકીય કારકિર્દીમાં, તેમણે વર્ષ 2016 થી 2021 સુધી ઘોઘંબા તાલુકા મહિલા મોરચામાં મહામંત્રી તરીકે સેવા આપી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે પક્ષના સંગઠનને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વહીવટી ક્ષેત્રે પણ તેમનો અનુભવ નોંધપાત્ર છે. તેઓ 2015 થી 2018 દરમિયાન ઘોઘંબા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રથમ ટર્મમાં ચૂંટાયા હતા. ત્યારબાદ, 2018 થી 2021 સુધી તેમણે ઉપ-પ્રમુખ તરીકે સફળતાપૂર્વક કાર્યભાર સંભાળ્યો હતો. તેમની લોકપ્રિયતાને કારણે, 2021 થી 2023 સુધી તેઓ બીજી વખત પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. પોતાના કાર્યકાળ દરમિયાન લોકોના પ્રશ્નોને વાચા આપનાર અને વિકાસ કાર્યોમાં સક્રિય રહેનાર રંગેશ્વરીબેન હવે કાલોલ વિસ્તારમાં પક્ષ તરફથી તક મેળવવા માટે પ્રયાસરત છે. તેમની આ દાવેદારીને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 9:07 pm

કોર્ટમાંથી વોશરૂમ જવાના બહાને ફરાર આરોપી વહેલી સવારે ઊંઘતો ઝડપાયો:બાળકી પર દુષ્કર્મ કેસમાં આરોપીની મહારાષ્ટ્રથી કરી હતી ધરપકડ

વડોદરા શહેરની દિવાળીપુરા કોર્ટમાંથી વોશરૂમ જવાના બહાને એક આરોપી પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો. આરોપીને મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લામાંથી ગણતરીના સમયમાં દબોચી લીધો છે. આરોપી દુષ્કર્મ અને પોક્સો જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. આરોપીને સુનાવણી માટે દિવાળીપુરા કોર્ટમાં રજૂ કરવાનો હતોવડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બાળકી પર દુષ્કર્મના ગુનામાં આરોપી અજય ઉર્ફે આકાશ રોકડીને વડોદરા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યો હતો. સોમવારના રોજ આરોપીને સુનાવણી માટે દિવાળીપુરા કોર્ટમાં રજૂ કરવાનો હતો. જેના કારણે પોલીસ હેડક્વાર્ટરના સ્ટાફ દ્વારા કેદીને સેન્ટ્રલ જેલમાંથી કોર્ટમાં કડક બંદોબસ્ત વચ્ચે લાવવામાં આવ્યો હતો. વોશરુમના બહાને કર્મચારીની નજર ચૂકવીને અચાનક ફરાર થઈ ગયોઆરોપીને લઈ પોલીસ સ્ટાફના માણસો ઊભા હતા. તે દરમિયાન આ આરોપીએ વોશરૂમ જવા માટે પોલીસ સ્ટાફને જણાવ્યું હતું. જેથી તેને વોશરૂમ તરફ લઈ જવામાં આવતો હતો ત્યારે જ આરોપી પોલીસ કર્મચારીની નજર ચૂકવીને અચાનક ફરાર થઈ ગયો હતો. આ ઘટના બનતા જ પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ આરોપીની શોધખોળમાં લાગી ગઈ છેપોલીસની અલગ-અલગ ટીમો દ્વારા આ ભાગી છૂટેલા આરોપીને પકડવા માટે દોડધામ શરૂ કરી હતી, પરંતુ આરોપી હાથમાં આવ્યો ન હતો. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં ચેકિંગ વધારવામાં આવ્યું છે. હાલ પોલીસ આરોપીની શોધખોળમાં લાગી ગઈ છે. આ દરમિયાન PSI એ એન પાટીલને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આરોપી અજય ઉર્ફે આકાશ દિનેશભાઈ રોકડે (રહે. રણજિતનગર, પરશુરામનો ભઠ્ઠો, સયાજીગંજ) વિરુદ્ધ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. વહેલી સવારે આરોપી સગાના ઘરે દરોડો પાડીને ઊંઘતા ઝડપી પાડ્યો વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી. PSI બી.વી. ગોહિલ અને એ.એસ.આઈ. દીપકભાઈને સચોટ બાતમી મળી હતી કે, આરોપી મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લાના દોંડાઈચા ગામે તેના સગાના ઘરે છુપાયેલો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક મહારાષ્ટ્ર પહોંચી હતી. વહેલી સવારે સાડા ચાર વાગ્યે આરોપીના સગાના ઘરે દરોડો પાડીને ઊંઘતા ઝડપી પાડ્યો હતો. આરોપીને પકડી પાડી વડોદરા લાવવામાં આવ્યો છે અને વધુ તપાસ અર્થે અકોટા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 9:07 pm

પાટણ જિલ્લામાં 11 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર:રાજ્ય ચૂંટણી આયોગે કાર્યક્રમ જાહેર કર્યો, 26 એપ્રિલે મતદાન

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત સાથે જ પાટણ જિલ્લામાં 1 એપ્રિલ, 2026થી આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. આચારસંહિતાના અમલ દરમિયાન ચૂંટણી સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની બદલી તેમજ તાકીદના તબીબી કારણો સિવાયની રજાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ, 6 એપ્રિલ, 2026ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ, 2026 છે. 13 એપ્રિલે ફોર્મની ચકાસણી થશે અને 15 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. મતદાન 26 એપ્રિલ, 2026, રવિવારના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. જરૂર પડ્યે, 27 એપ્રિલે પુનઃ મતદાન થશે અને 28 એપ્રિલ, 2026ના રોજ મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરાશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 30 એપ્રિલ, 2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. પાટણ જિલ્લામાં પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાશે. આ ઉપરાંત, રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 2ની ખાલી બેઠક માટે પેટાચૂંટણી પણ યોજાશે. પંચાયતોની વાત કરીએ તો, પાટણ જિલ્લા પંચાયત અને તેની હેઠળની પાટણ, સમી, સાંતલપુર, રાધનપુર, સરસ્વતી, ચાણસ્મા, સિદ્ધપુર, હારીજ અને શંખેશ્વર સહિતની નવ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ પણ યોજાશે. આચારસંહિતાના અમલ દરમિયાન, મતદારોને પ્રભાવિત કરી શકે તેવી કોઈપણ જાહેરાતો, વચનો, નાણાકીય ગ્રાન્ટની ફાળવણી કે નવી નિમણૂકો પર ચૂંટણી આયોગ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 9:00 pm

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર:26 એપ્રિલે મતદાન, 28 એપ્રિલે પરિણામ; ભાજપમાં ટિકિટ માટે ધસારો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ માટે 26 એપ્રિલે મતદાન થશે અને 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ જાહેરાત સાથે જ રાજકીય પક્ષોમાં ગતિવિધિઓ તેજ બની છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સંપૂર્ણ કાર્યક્રમ મુજબ, 6 એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂઆત થશે, જેની અંતિમ તારીખ 11 એપ્રિલ છે. ફોર્મની ચકાસણી 13 એપ્રિલે થશે અને 15 એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉમેદવારોની પસંદગી માટે 'સેન્સ' પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વલસાડ સહિત સમગ્ર રાજ્યમાં 10,000થી વધુ બેઠકો માટે હજારોની સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને ખેડૂતોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. લોકસભાના દંડક ધવલ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, ભાજપમાં જોવા મળી રહેલી આ સ્વસ્થ સ્પર્ધા દર્શાવે છે કે લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર અતૂટ વિશ્વાસ છે. આગામી 28 એપ્રિલે ભાજપનો ભવ્ય વિજય થશે અને વિરોધ પક્ષોનો સફાયો થશે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં ખાસ કરીને યુવા ચહેરાઓ અને મહિલા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ કાર્યાલયો પર ટિકિટ વાંચ્છુઓની લાંબી કતારો આગામી દિવસોમાં ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનવાના સંકેત આપી રહી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 8:58 pm

અમદાવાદમાં એક દિવસમાં 3 લાખ સુધીના સાયબર ફ્રોડની 12 FIR:ફોરેક્સ ટ્રેડિંગથી લઈને લોનના નામે છેતરપિંડી, ડિજિટલ એરેસ્ટ સહિતના કિસ્સામાં 12 આરોપીઓ સામે ફરિયાદ

અમદાવાદ સાયબર ક્રાઈમાં સાયબર ફ્રોડને લગતા ગુનાઓની ફરિયાદ નોંધવામાં આવે છે, ત્યારે અમદાવાદ શહેરમાં 3 લાખથી ઓછા ફ્રોડની એક જ દિવસમાં 12 ફરિયાદ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસ દ્વારા અરજી લેવામાં આવી હતી જેની તપાસ કરવામાં આવી અને અંતે ગુનો નોંધવામાં આવ્યો છે. આ તમામ ફરિયાદમાં ભોગ બનનાર અલગ અલગ રીતે સાયબર ફ્રોડના શિકાર બન્યા છે. કિસ્સો 1: ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણના નામે 1.64 લાખની છેતરપિંડીસારંગપુરમાં રહેતા 55 વર્ષીય આધેડને એક યુવતીએ ફેસબુક પર રિકવેસ્ટ મોકલીને પરિચય કેળવ્યો હતો. બાદમાં ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી બમણો નફો મળશે તેવી લાલાચ આપીને આધેડને લિંક મોકલી હતી. આધેડે રોકાણ શરૂ કરતા ભાવેશ ચૌહાણ સાથે સંપર્ક કરાવ્યો હતો. ભાવેશે આધેડને વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને કોન્ટ્રાક્ટ સાઈન કરાવીને 30 ટકા કમિશન આપવાનું કહીને રૂપિયા 1.64 લાખ મેળવી લીધા હતા. આ સાથે રકમ વિડ્રો ન કરવા દઈને બે લાખની માંગણી કરી હતી. આ મામલે ખાડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કિસ્સો 2: લોનના નામે 56 હજારની છેતરપિંડીમૂળ રાજસ્થાનનો 34 વર્ષીય યુવક શહેરમાં રહે છે અને પિત્ઝા રેસ્ટોરન્ટમાં નોકરી કરે છે. તેને ગઠિયાઓએ લોનના નામે ફોન કરતા તેણે ફોન કાપી નાખ્યો હતો. જે બાદ અલગ અલગ નંબર પરથી ફોન આવતા તેણે ફોન ઉપાડ્યા નહોતા અને બાદમાં એક બાદ એક ઓટીપી આવતા ફોન બંધ કરી દીધો હતો. 20 મિનિટ બાદ ફોન ચાલુ કરતા 56 હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થતાં સેટેલાઈટ પોલીસે તપાસ હાથ ધરી છે. કિસ્સો 3: ફોન-પે કંપનીના નામે બે શખસો 45 હજાર પડાવ્યાફતેવાડીમાં રહેતો યુવક બાકરોલ સર્કલ પાસે પકોડીની લારી ચલાવે છે. થોડા સમય પહેલાં ફોન-પે કંપનીના નામે બે શખસો આવ્યા હતા. આ શખસોએ ક્યુઆર કોડ અને સાઉન્ડ સ્પીકર આપવાનું કહીને યુવક સાથે વાત કરી હતી. બાદમાં આ વસ્તુઓ આપીને ફોનમાંથી નવા ક્યુઆર કોડમાં 1 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન પણ કરાવ્યું હતું. ગઠિયાઓએ સ્પીકર લઇને આવીએ તેમ કહીને રફુચ્ચકર થઈ ગયા હતા. થોડી વા બાદ પરત આવીને યુવકનો ફોન લઇને 45 હજારનું ટ્રાન્ઝેક્શન કરીને એપ્લિકેશન ડિલીટ કરી નાખી હતી. સરખેજ પોલીસે તપાસ હાથ ધરી છે. કિસ્સો 4: વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 50 હજાર પડાવ્યાગાંધીનગર માણસાના 61 વર્ષીય વૃદ્ધ મોટેરામાં રહે છે અને કપ-રકાબી બનાવવાનો વેપાર કરે છે. તેમને અજાણ્યા શખસોએ ફોન કરીને તમે મુંબઇમાં લોકોને હેરાનગતિ કરી હોવાની અને મની લોન્ડરિંગની ફરિયાદ નોધાઈ છે. તમારા વિરૂદ્ધ એરેસ્ટ વોરન્ટ હોવાનું કહીને ડરાવ્યા હતા. બાદમાં ઉચ્ચ અધિકારીને મળવાનું કહીને અધિકારી હાજર ન હોવાથી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. ત્રણ કલાકે સેફ રિપોર્ટ મંગાવીને ડિપોઝિટ પેટે પાંચ લાખ માગ્યા હતા. વૃદ્ધે 50 હજાર ટ્રાન્સફર કરતા તેમની સાથે સાયબર ફ્રોડની શંકા જતાં ચાંદખેડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કિસ્સો 5: પેટીએમ બંધ કરવાના નામે 50 હજાર પડાવ્યાગોતામાં રહેતો યુવક ડ્રાય ક્લિનિંગની દુકાન ધરાવે છે. થોડા સમય પહેલાં તેની દુકાને એક શખસ પેટીએમ કંપનીના નામે આવ્યો હતો. યુવકે પેટીએમ સાઉન્ડ બોક્સ બંધ કરાવવાનું કહેતા તેણે યુવકને પોતાના જ ખાતામાં 1 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવાનું કહ્યું હતું. બાદમાં તમારા ફોનથી રિકવેસ્ટ નાખવી પડશે તેમ કહીને ફોન મેળવીને 10 જ મિનિટમાં 50 હજાર મેળવી લીધા હતા. ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કિસ્સો 6: આઇફોન ખરીદવાના નામે 68 હજાર રૂપિયાની ઠગાઈસુરતના માંડવીના 20 વર્ષીય યુવકે ઇન્સ્ટાગ્રામમાં આઇફોન 13 પ્રો મેક્સ વેચાણની જાહેરાત જોઈ હતી. બાદમાં તે ખરીદવા ઇન્સ્ટાગ્રામ આઇડી પર મેસેજ કર્યો હતો. ગઠિયાએ 5,545 ભાવ કહીને યુવક પાસે બુકિંગ માટે ઓનલાઈન 100 રૂપિયા પડાવ્યા હતા. બાદમાં યુવકે ટુકડે ટુકડે રૂપિયા 5,545 ચૂકવ્યા હતા. ગઠિયાએ એક સાથે જ પેમેન્ટ કરવું પડશે તેમ કહીને 68 હજાર રૂપિયા પડાવી લેતા યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે. કિસ્સો 7: રોકાણના નામે 2.65 લાખની છેતરપિંડીનવરંગપુરામાં રહેતા આધેડ સોફ્ટવેર ડેવલપમેન્ટનું કામ કરે છે. તેમણે રોકાણ માટે એપ્લિકેશન ડાઉનલોડ કરી લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. ગઠિયાઓએ રોકાણની રકમ સામે માત્ર 10 હજાર રૂપિયા આપીને 2.65 લાખનું ફ્રોડ આચરતા નવરંગપુરા પોલીસે તપાસ હાથ ધરી છે. કિસ્સો 8: લોનના નામે 2 લાખની છેતરપિંડીન્યુ રાણીપમાં રહેતો યુવક નોકરી કરે છે. એક શખસે તેને ઓછા વ્યાજની લોનના નામે ફોન કર્યો હતો. બાદમાં યુવકના ડોક્યુમેન્ટ મેળવીને 6 લાખની લોન મંજુર થઇ હોવાનું કહીને વિવિધ ચાર્જના નામે રૂ. 2.06 લાખ પડાવીને છેતરપિંડી આચરી હતી. સાબરમતી પોલીસે ગુનો નોંધ્યો છે. કિસ્સો 9: ફોન-પે મારફતે 99 હજારનું સાયબર ફ્રોડશાહપુરમાં રહેતો યુવક ડેટા એન્ટ્રીનું કામ કરે છે. તેની માતાના ખાતામાંથી કોઇ ગઠિયાએ ફોન-પે મારફતે 99,900 નું સાયબર ફ્રોડ આચરતા શાહપુર પોલીસે તપાસ હાથ ધરી છે. કિસ્સો 10: યુવકનો ફોન હેક કરી 22 હજાર સેરવી લીધાચાણક્યપુરીમાં રહેતો અને ગેરેજ ધરાવતા યુવકનો ફોન હેક કરીને કોઇ શખસોએ ઓનલાઇન પ્લેટફોર્મથી 22 હજાર સેરવી લેતા સોલા પોલીસે તપાસ હાથ ધરી છે. કિસ્સો 11: લોનના નામે યુવક પાસે 29 હજાર પડાવ્યાનિર્ણયનગરમાં રહેતા 34 વર્ષીય યુવકે સો. મીડિયા પર જાહેરાત જોઇને લોન લેવા માટે મેસેજ કર્યો હતો. ગઠિયાએ લોનની ઓનલાઇન પ્રોસેસ કરાવી આપવાનું કહીને 29,500 પડાવી લેતા વાડજ પોલીસે તપાસ હાથ ધરી છે. કિસ્સો 12: પેટીએમના નામે યુવકના ખાતામાં 50 હજાર સેરવી લીધાશેરડીના રસની લારી ધરાવતા યુવક પાસે પેટીએમમાંથી આવ્યા હોવાનું કહીને બે લોકો આવ્યા હતા. આ શખસોએ કંપનીના નામે ક્યુઆર કોડ અને સાઉન્ડ મશીન આપીને જતા રહ્યા હતા. જે બાદ ગઠિયાઓ ફરી આવ્યા અને પેટીએમ વોલેટ ખાતામાંથી રેગ્યુલર ખાતામાં નાણાં આવી જાય તેવુ સેટિંગ કરવાના બહાને યુવકનો ફોન મેળવીને 50 હજાર સેરવીને ભાગી ગયા હતા. વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 8:56 pm

11 વર્ષના સગીર સાથે નદીમાં સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય:અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપી કમલેશ વાઘેલાને 20 વર્ષની કેદ અને 30 હજારનો દંડ ફટકાર્યો

વર્ષ 2024માં અમદાવાદ ગ્રામ્યના ધંધુકા પોલીસ મથકે 30 વર્ષીય આરોપી કમલેશ વાઘેલા સામે BNS અને પોક્સો એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેનો કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી જતા જજ બી.એસ.મહેતાએ સરકારી વકીલ ભરતસિંહ રાઠોડની દલીલો, 8 સાહેદ અને 35 પુરાવાને આધારે આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી છે. નદીમાં લઈ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુંકેસને વિગતે જોતા ભોગ બનનાર સગીર 11 વર્ષ અને 8 મહિનાની ઉંમરનો હતો ત્યારે ફરિયાદી સગીરની માતાને આરોપીએ પોતાના પુત્રને ભાદર નદીમાં નાહવા જવાનું કહીને સાથે લઈ ગયો હતો. જ્યાં તેને નદીના પાણીમાં જ શરીરનો ટુવાલ ખેંચી લઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. સગીર ઘરે આવતા તેને પાછળના ભાગે દુખાવો થતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ અને 30 હજારનો દંડ કર્યોઆટલું જ નહીં આ વાત જો સગીર કોઈને જણાવશે તો તેને ડુબાડીને મારી નાખવાની ધમકી આરોપીએ આપી હતી. કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સાથે 30 હજાર રૂપિયાનો દંડ કર્યો હતો. કોર્ટે સગીરને 4 લાખ રૂપિયા વિક્ટિમ કમ્પેન્સેશન એક્ટ અંતર્ગત ચૂકવવા હુકમ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 8:52 pm

વડોદરામાં 38માં ભવ્ય ઉર્ષનો પ્રારંભ:સંદલ જુલૂસમાં ભક્તિનું ઘોડાપૂર, દેશભરના ગાદીપતિઓ અને બુદ્ધિજીવીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ વચ્ચે ઉજવણી

વડોદરાના લોકહ્રદયમાં વસેલા જુમ્મા મસ્જિદ વાળા પીર બાબા હજરત સૈયદ અઝીમુદ્દુન મહમુદ નુરુલ્લાહ જીલાનીના 38માં વાર્ષિક ઉર્ષ અને સૈયદના મોઈને મિલ્લત હજરત સૈયદ મોઈનુંદ્દીન બાબા કાદરીના બીજા ઉર્ષની ઉજવણીનો વડોદરા શહેરમાં ભવ્ય પ્રારંભ થયો છે. ગૌસિયા મંજિલ અજબડી મિલ પાસેથી ગાદીપતિ હજરત સૈયદ અમિરુદ્દીન બાબા કાદરી અને નાયબ ગાદીપતિ સૈયદ કબીરુદ્દીન બાબા કાદરીની આગેવાનીમાં વિશાળ સંદલ જુલૂસ નીકળ્યું હતું, જેમાં સમગ્ર શહેર ભક્તિના રંગે રંગાયું હતું. વિવિધ શહેરોમાંથી ઉમટી પડેલી જનમેદની આ જુલૂસમાં વડોદરા ઉપરાંત હાલોલ, કાલોલ, સુરત અને પેટલાદ જેવા શહેરોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. રિફાઈ ગ્રુપના સભ્યોએ ડફ અને નગારાના તાલે સૂફી સંતો અને પયગમ્બર સાહેબની શાનમાં ભક્તિગીતો રજૂ કરીને વાતાવરણને આધ્યાત્મિક બનાવી દીધું હતું. માર્ગમાં દરેક સમુદાયના લોકોએ ફૂલહાર અને બેનરો લગાવીને ગાદીપતિઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ રેલીમાં માત્ર શ્રદ્ધાળુઓ જ નહીં, પણ ડોક્ટરો, વકીલો અને એન્જિનિયરો જેવા બુદ્ધિજીવીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરંપરાગત વિધિ અને કાદરી લંગર મોડી સાંજે જુલૂસ મેમણ કોલોની, ધનાની પાર્ક સ્થિત દરગાહ શરીફ પહોંચ્યું હતું. ત્યાં પરંપરાગત રીતે ચાદર અને ગુલપોશીની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. અંતમાં સર્વ કલ્યાણ માટે દુઆઓ માંગવામાં આવી હતી અને કાદરી લંગરનું આયોજન થયું હતું. સમગ્ર આયોજન દરમિયાન પોલીસ અને સ્થાનિક પ્રશાસનનો સહયોગ પ્રશંસનીય રહ્યો હતો. આગામી કાર્યક્રમોની રૂપરેખા ઉર્ષની ઉજવણી 4 દિવસ સુધી ચાલશે. 3 એપ્રિલના રોજ રાત્રે 10 કલાકે દેશ-વિદેશના મહેમાનોની હાજરીમાં સૂફીવાદ પર પ્રવચન અને શાયરીનો કાર્યક્રમ યોજાશે. 4 એપ્રિલ, શનિવારે સવારે 10 કલાકે કુરાન ખ્વાની અને મહેફિલે મિલાદ બાદ બપોરે 1.30 કલાકે 'કુલ શરીફ'ની વિધિ સાથે ઉર્ષનું સમાપન થશે. આ પ્રસંગે સૈયદ અમિરુદ્દીન બાબા કાદરી દ્વારા આશીર્વચન પાઠવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2026 8:50 pm