SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
...

સરદારકૃષિનગરમાં વિદ્યાર્થીઓ માટે માનસિક સ્વાસ્થ્ય સેમિનાર યોજાયો:ડૉ. આદિત્ય અગ્રવાલે તણાવ મુક્તિ માટે માર્ગદર્શન આપ્યું

કામધેનુ યુનિવર્સિટી હસ્તકની પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, સરદારકૃષિનગરના 'સ્ટુડન્ટ્સ કાઉન્સેલિંગ અને પ્લેસમેન્ટ સેલ' દ્વારા તાજેતરમાં વિદ્યાર્થીઓ માટે માનસિક આરોગ્ય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. UGC ગાઈડલાઈન મુજબ યોજાયેલા આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને 'સ્વસ્થ મન – ઉજ્જવળ ભવિષ્ય' ના મંત્રને સાર્થક કરવાનો હતો. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે એમ.ડી. સાયકિયાટ્રિસ્ટ ડૉ. આદિત્ય આર. અગ્રવાલે આજના સ્પર્ધાત્મક યુગમાં માનસિક સ્વાસ્થ્યના મહત્વ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને તણાવ, ચિંતા અને ડિપ્રેશનના લક્ષણોને વહેલી તકે ઓળખી યોગ્ય તબીબી સલાહ લેવા અનુરોધ કર્યો હતો. ડૉ. અગ્રવાલે શૈક્ષણિક ભારણ વચ્ચે માનસિક શાંતિ જાળવી રાખવા માટે ધ્યાન (મેડિટેશન), સકારાત્મક અભિગમ અને અસરકારક સમય વ્યવસ્થાપન જેવા પ્રાયોગિક નુસખાઓ પણ સમજાવ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ ડૉ. એચ. સી. ચૌહાણે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સર્વાંગી વિકાસ માટે માત્ર શૈક્ષણિક ગુણવત્તા જ નહીં, પરંતુ મજબૂત માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે. સેમિનારના અંતિમ ચરણમાં પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની મૂંઝવણો રજૂ કરી નિષ્ણાત પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન ડૉ. ચિરાગ એમ. મોદી, ડૉ. અજય એસ. પટેલ, ડૉ. રિંકેશ મકવાણા અને ડૉ. જે. આર. પટેલની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મોટી સંખ્યામાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓએ હાજર રહીને ઉપયોગી માહિતી મેળવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 11:58 am

પાટણ નગરપાલિકા ચૂંટણી: ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, ભારે ધસારો:ભાજપ, કોંગ્રેસ, AAP અને અપક્ષોએ ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે

પાટણ નગરપાલિકાની 44 બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે પાટણ પ્રાંત કચેરી ખાતે ભારે રાજકીય હલચલ જોવા મળી હતી. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો અને તેમના ટેકેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેના કારણે કચેરી પરિસર છલકાઈ ગયું હતું. ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો ઢોલ-નગારા અને વાજતે-ગાજતે વિજય વિશ્વાસ સાથે પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા. ભાજપના કાર્યકરો અને સમર્થકોના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, અને ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા. બીજી તરફ, કોંગ્રેસે અત્યાર સુધી ઉમેદવારોના નામની કોઈ સત્તાવાર યાદી જાહેર કરી નથી. તેમ છતાં, પક્ષના આદેશ મુજબ કોંગ્રેસના ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે પ્રાંત કચેરી પહોંચ્યા હતા અને ઉમેદવારી ભરી રહ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) અને અપક્ષ ઉમેદવારોએ પણ પોતાના સમર્થકો સાથે પ્રાંત કચેરી ખાતે હાજરી આપી ફોર્મ ભરવાની કામગીરી કરી રહ્યા છે. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તમામ પક્ષના કાર્યકરો અને ટેકેદારોની ભારે ભીડ જામી હતી, જેને પગલે વહીવટી તંત્ર અને પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવી વ્યવસ્થા જાળવી હતી. 44 બેઠકો માટે મોટી સંખ્યામાં ફોર્મ ભરાશે,.હવે આગામી દિવસોમાં ફોર્મની ચકાસણી અને ઉમેદવારી પત્રો ખેંચાયા બાદ ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 11:55 am

ભરૂચમાં જ્યોતિરાવ ફૂલેની જયંતી ઉજવાઈ:સમાજ સુધારક કાર્યો અને વિચારોને યાદ કરાયા

ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ શહેરના સ્ટેચ્યુ પાર્ક ખાતે તેમની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન બામસેફ-ઇન્સાફ-BMG સંગઠન દ્વારા કરાયું હતું. જેમાં વિવિધ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં બામસેફના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બહેચર રાઠોડ, બામસેફ ગુજરાતના મહાસચિવ શાંતિલાલ રાઠોડ, બામસેફ ભરૂચ પ્રમુખ મનિષ પરમાર, ઇન્સાફ સંગઠનના રાષ્ટ્રીય સચિવ મોહન પરમાર અને ઇન્સાફ ભરૂચના પ્રમુખ અશોક મકવાણાનો સમાવેશ થાય છે. ઉપસ્થિત સૌએ જ્યોતિરાવ ફૂલેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના સમાજ સુધારક કાર્યોને યાદ કર્યા હતા. કાર્યક્રમમાં તેમના શિક્ષણક્ષેત્રે આપેલા યોગદાન અને સમાનતાના સંદેશને વિશેષ રૂપે ઉજાગર કરાયો હતો. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં મહાત્મા ફૂલેના વિચારોને વર્તમાન સમયમાં અમલમાં મૂકવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો. સમાજમાં સમાનતા અને શિક્ષણના પ્રસાર માટે સૌને આગળ આવવા અપીલ પણ કરાઈ હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 11:50 am

મોરબી મહાપાલિકા: સુપરસિડ બોડીના 7 સભ્યો રિપીટ:પૂર્વ પ્રમુખો, ઉદ્યોગકારો સહિત અનેકના પત્તા કપાયા

મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી માટે ભાજપે ગઈકાલે મોડી રાત્રે 52 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં નગરપાલિકાની સુપરસિડ થયેલી છેલ્લી બોડીના સાત સભ્યોને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. જોકે, પાંચ પૂર્વ પ્રમુખો, બ્રહ્મ સમાજ અને રાજપૂત સમાજના પ્રમુખો, અનેક ચેરમેનો તથા માજી સભ્યો સહિત અનેકના પત્તા કપાયા છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મોડી સાંજે આ યાદી જાહેર કરાઈ હતી. ભાજપ દ્વારા 'નો રિપીટ થિયરી'ની વાતો કરવામાં આવતી હતી, પરંતુ જાહેર કરાયેલા નામોમાં સાત ઉમેદવારો રિપીટ થયા છે. આ રિપીટ થયેલા ઉમેદવારોમાં અલ્પાબેન રોહિતભાઈ કંઝારિયા, જશવંતીબેન પ્રવીણભાઈ સોનગરા, મમતાબેન ધીરેન્દ્રભાઈ ઠાકર, કુંદનબેન શૈલેષભાઈ માકાસણા, મેઘાબેન દીપકભાઈ પોપટ, બ્રિજેશભાઈ આપાભાઈ કુંભારવાડીયા અને ભાવિકભાઈ ભરતભાઈ જારીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પાંચ ઉમેદવારો એવા છે જેમના પરિવારના સભ્યો ગત નગરપાલિકાની બોડીમાં હતા. આ વખતે ચહેરો બદલીને પૂર્વ સદસ્યના પરિવારજનને ટિકિટ અપાઈ છે. તેમાં વીણાબેન માવજીભાઈ કંઝારિયા, ભારતીબેન ચુનીલાલ પરમાર, મનસુખભાઈ મૂળજીભાઈ સારેસા, ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા અને હિરેન પરબતભાઈ કરોતરાનો સમાવેશ થાય છે. સનાળા ગામના સરપંચ સોનલબેન પ્રફુલભાઈ અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન જયંતીભાઈ પડસુંબીયાને પણ ભાજપ દ્વારા મહાનગરપાલિકાની ટિકિટ આપવામાં આવી છે. મોરબી મહાપાલિકાની પ્રથમ ચૂંટણી માટે ભાજપમાંથી કુલ 427 આગેવાનોએ ટિકિટની માંગણી કરી હતી. તેમાંથી 52 આગેવાનોને સત્તાવાર રીતે ટિકિટ આપવામાં આવી છે. જોકે, અનેક મોટા નામોના પત્તા કપાયા છે. પત્તા કપાયેલા નેતાઓમાં મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખો દેવાભાઈ પરબતભાઈ અવાડીયા, કેતનભાઇ અમૃતલાલ વિલપરા, લલિતભાઇ જેરાજભાઈ કામરીયા, અનુપસિંહ સજુભા જાડેજા અને દીનાબા જયવંતસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, માજી ઉપપ્રમુખ જયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, માજી ચેરમેનો પ્રકાશભાઈ વાલાભાઈ ચબાડ, ઇદ્રીશભાઈ મેપાભાઇ જેડા, હર્ષદભાઈ મોતીભાઈ કંઝારિયા, રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઉદેસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ અનોપસિંહ જાડેજા, બ્રહ્મ સમાજના પ્રમુખ અનિલભાઈ પ્રભુલાલ મહેતા, મોરબી જિલ્લા યુવા ભાજપના માજી મહામંત્રી જયદીપભાઇ કનુભાઈ, શનાળા ગામના માજી ઉપસરપંચ ધર્મેન્દ્રસિંહ કરણુભા ઝાલાનો પણ સમાવેશ થાય છે. મોરબીના ઉદ્યોગકારોમાં હરેશભાઈ રામજીભાઈ બોપલિયા, અનિલભાઈ લાલજીભાઈ વરમોરા અને બળદેવભાઈ દેવજીભાઈ નાયક પરા તેમજ અનેક માજી સભ્યોના પત્તા પણ કપાયા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 11:48 am

સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારો જાહેર, 30 નવા ચહેરા:હિંમતનગર નગરપાલિકામાં 13 રિપીટ, જિલ્લા-તાલુકા પંચાયતમાં પણ ફેરફાર

સાબરકાંઠા જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે ભાજપે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ગઈકાલે રાત્રે જાહેર કરાયેલી યાદીમાં હિંમતનગર નગરપાલિકામાં 44માંથી 43 ઉમેદવારોના નામ સામેલ છે, જેમાં 13 વર્તમાન સભ્યોને રિપીટ કરાયા છે અને 30 નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. આ જાહેરાતમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો, હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર, તલોદ અને પ્રાંતિજ તાલુકા પંચાયતની કુલ 170 બેઠકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હિંમતનગર, ઈડર, વડાલી નગરપાલિકાની સામાન્ય અને પ્રાંતિજ નગરપાલિકાની પેટાચૂંટણીની 96 બેઠકો માટે પણ ઉમેદવારો જાહેર કરાયા છે. મોટાભાગે નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે, જેમાં જિલ્લા પંચાયતમાં પૂર્વ પ્રમુખ ભારતીબેન મહેન્દ્રભાઈ પટેલના પતિ મહેન્દ્રભાઈ પટેલને ટિકિટ અપાઈ છે. હિંમતનગર નગરપાલિકામાં 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી યોજાશે. આસપાસના વિસ્તારો ઉમેરાતા વોર્ડની સંખ્યા નવથી વધીને 11 થઈ છે, જેના કારણે આઠ સભ્યોનો ઉમેરો થયો છે. ભાજપે 44માંથી 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં 13 રિપીટ ઉમેદવારો અને 30 નવા ચહેરાઓનો સમાવેશ થાય છે. વોર્ડ મુજબ વિગતવાર જોઈએ તો, વોર્ડ 1માં ચાર નવા ચહેરા, વોર્ડ 2માં બે રિપીટ અને બે નવા ચહેરા, વોર્ડ 3માં ત્રણ નવા ચહેરા, વોર્ડ 4માં બે રિપીટ અને બે નવા ચહેરા, વોર્ડ 5માં બે રિપીટ અને બે નવા ચહેરા, વોર્ડ 6માં બે રિપીટ અને બે નવા ચહેરા, વોર્ડ 7માં બે રિપીટ અને બે નવા ચહેરા, વોર્ડ 8માં એક રિપીટ અને ત્રણ નવા ચહેરા, વોર્ડ 9માં એક રિપીટ અને ત્રણ નવા ચહેરા, વોર્ડ 10માં એક રિપીટ અને ત્રણ નવા ચહેરા અને વોર્ડ 11માં ચાર નવા ચહેરાની પસંદગી કરવામાં આવી છે. જાહેર કરાયેલા ઉમેદવારોના નામ નીચે મુજબ છે: વોર્ડ નં.1: ગાયત્રીબેન મહેશકુમાર વાળંદ, તેજલ આકાશ રાવલ, સાવન અમૃતલાલ ડોકીયાર, ગોપાલસિંહ નારાયણસિંહ રાઠોડ. વોર્ડ નં.2: શુચિ અર્જુનકુમાર શાહ, નીતા હસમુખભાઈ પટેલ, રાજુભાઈ કરસનભાઈ દેસાઈ, રાજેષકુમાર કિશોરીલાલ શર્મા. વોર્ડ નં.3: હફીજુનીશા ઝાકીરહુસેન હરસોલીયા, દશરથભાઈ ચીમનભાઈ વાઘેલા, સોયેબભાઈ સાબીરભાઈ શેખ. વોર્ડ નં.4: દેવિકાબેન ધવલભાઈ સોની, જાનકીબેન અમિતભાઈ રાવલ, ગોવિંદસિંહ ઉદેસિંહ રાઠોડ, નિકેશભાઈ હસમુખભાઈ ગાંધી. વોર્ડ નં.5: અલકાબેન રાકેશકુમાર બારોટ, ઉષાબેન પ્રદીપભાઈ વાઘેલા, રશિકાંતભાઈ મથુરભાઈ સોલંકી, જયેશ વસંતભાઈ ભાટી. વોર્ડ નં.6: પ્રિયંકાબેન છગનભાઈ સડાત, હંસાબેન મહેન્દ્રકુમાર પિત્રોડા, જતીન શંકરભાઈ કહાર, હિતેશકુમાર જયંતિલાલ પટેલ. વોર્ડ નં.7: અરુણાબેન ધર્મેન્દ્રભાઈ કડિયા, કુમારભાર્ગવભાઈ મનહરભાઈ રાજ, અમૃતલાલ બાબુલાલ પુરોહિત. વોર્ડ નં.8: દક્ષાબેન જયંતિલાલ રાઠોડ, ભૂમિ જીગ્નેશભાઈ મહેતા, ગોપાલભાઈ કેશુભાઈ પ્રજાપતિ, ધર્મરાજ બલવંતસિંહ દેવડા. વોર્ડ નં.9: વાચા જનકભાઈ જોશી, શિલ્પાબેન બ્રિજેશભાઈ પટેલ, નીતિન દિનેશભાઈ પરમાર, રાહુલ બિપિનભાઈ પટેલ. વોર્ડ નં.10: વર્ષાબેન ભરતકુમાર મિસ્ત્રી, હિરવાબેન હિમાંશુભાઈ સાધુ, નટવરલાલ ડાહ્યાભાઈ ઓઝા, કલ્પિત હર્ષદભાઈ દવે. વોર્ડ નં.11: દર્શનબેન જીગ્નેશભાઈ પંચાલ, વૈદેહી અંકુરભાઈ સોની, ભાનુપ્રસાદ અમૃતલાલ પટેલ, અવિનાશ પ્રવિણચંદ્ર જોશી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 11:41 am

અનંત અંબાણીના જન્મદિવસ પર વિશ્વની પ્રથમ વનતારા યુનિવર્સિટીનું લોન્ચિંગ:ભારતને વન્યજીવ-પ્રાણીચિકિત્સા શિક્ષણ માટેના ગ્લોબલ હબ તરીકે પ્રસ્થાપિત કરવાનું લક્ષ્ય

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા વનતારાએ ગુજરાતના જામનગરમાં વનતારા યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી છે. વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત આ યુનિવર્સિટી વિશ્વની પ્રથમ સંકલિત ગ્લોબલ યુનિવર્સિટી છે. વનતારા યુનિવર્સિટી પ્રાણી કલ્યાણ, વૈજ્ઞાનિક પ્રગતિ અને વન્યજીવ સંરક્ષણના ભવિષ્ય સાથે મૂળથી જોડાયેલી છે. આ સંસ્થાનો ઉદ્દેશ પ્રાણીચિકિત્સા ઔષધિ (વેટરીનરી મેડિસીન), સંરક્ષણ અને વન્યજીવ સંભાળના ભાવિ નેતૃત્ત્વને તૈયાર કરવાનો છે. તેનો અભ્યાસક્રમ ભારતની જ્ઞાન પરંપરાઓનો ઉપયોગ કરીને શિક્ષણના ઉદ્દેશ-આધારીત અને ભવિષ્ય-લક્ષી મોડેલને આકાર આપશે. અનંત અંબાણીએ જણાવ્યું કે, વન્યજીવ સંરક્ષણનું ભાવિ એ બાબત પર નિર્ભર રહેશે કે આપણે કેવી રીતે કરુણા, જ્ઞાન અને કૌશલ્ય સાથે જીવનની સેવા કરવા માટેના મન અને સંસ્થાઓને તૈયાર કરીએ છીએ. તણાવપૂર્ણ પરિસ્થિતિમાં રહેલા પ્રાણીઓને જોવાની અત્યંત વ્યક્તિગત યાત્રા અને તેમની સંભાળ લેવામાં વધારે ક્ષમતાપૂર્ણ જરૂરીયાત રહેલી હોવાની સમજે વનતારા યુનિવર્સિટીને આકાર આપ્યો છે. પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના સિદ્ધાંતો અને તમામ દિશાઓથી ઉમદા વિચારો આપણને પ્રાપ્ત થાઓ એવો અર્થ ધરાવતા આનો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત: શ્લોકના ભાવથી પ્રેરિત, આ યુનિવર્સિટી દરેક જીવમાત્રનું રક્ષણ કરવા નિશ્ચયબદ્ધ નવી પેઢીને તૈયાર કરવા પ્રતિબધ્ધ છે. પારંપારિક વાતાવરણમાં આ મૂલ્યોને પ્રતિબિંબિત કરતા, બે બિજોલિયા રેતશીલાઓ શિલાન્યાસ સ્થળની ડિઝાઇનમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી. વર્તમાનમાં બિહારમાં આવેલી, પ્રાચીન નાલંદાના ભૂસ્તરશાસ્ત્રીય પાયામાં રહેલી પ્રાચીન વિંધ્ય રચનાથી પ્રેરિત આ શિલાઓ ભારતના જ્ઞાન અને શિક્ષણના કાયમી વારસાનું પ્રતીક છે. હિન્દુ પરંપરાઓ અનુસાર આયોજિત આ શિલાન્યાસ સમારોહમાં અનંત અંબાણીના શિક્ષકો અને મેન્ટર્સ સહિત શિક્ષણ, વિજ્ઞાન, સંરક્ષણ અને જાહેર જીવનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું હાર્દ હતું પ્રતિકાત્મક શિલાન્યાસ તરીકે ભારતની ઇકોલોજીકલ સમૃધ્ધિ અને દેશના કુદરતી વારસા પર યુનિવર્સિટીના નિર્માણના વિઝનના પ્રતિક સ્વરૂપે, ભારતભરના જૈવિક વિવિધતાથી સમૃધ્ધ પ્રદેશો જેમકે ઘાસિયા મેદાનો, જંગલો, સૂકા પ્રદેશો અને હિમાલય તેમજ દેશના ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ભાગોમાં આવેલા અન્ય ઊચ્ચ પ્રદેશોમાંથી એકત્ર કરવામાં આવેલા માટી, પાણી અને પથ્થરનું વિધિપૂર્વક સ્થાપન. વનતારા યુનિવર્સિટી એક જ શૈક્ષણિક ઇકોસિસ્ટમમાં અનેક અલગ-અલગ વિદ્યાશાખાઓને એકજૂટ કરશે, જે વાસ્તવિક સંરક્ષણ પ્રણાલિઓ સાથે સંકળાયેલી હશે. વનતારાની જમીન પરના કાર્યની નિપૂણતાનો ઉપયોગ કરીને, આ યુનિવર્સિટી ફિલ્ડ પરના જ્ઞાનને શૈક્ષણિક કાર્યક્રમો, વ્યાવસાયિક તાલીમ અને વૈશ્વિકરીતે સુસંગત માળખામાં તબદિલ કરશે. કરુણા, વિજ્ઞાન અને સંરક્ષણનું એક અનોખું મિશ્રણ કરીને, આ યુનિવર્સિટી વ્યાવસાયિકોને વન્યજીવ અને ઇકોસિસ્ટમની સુખાકારીમાં આવતા જટિલ અને સતત બદલાતા પડકારોનો સામનો કરવા માટે સુસજ્જ બનાવશે. આ યુનિવર્સિટી વિવિધ વિદ્યાશાખાઓમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ-ગ્રેજ્યુએટ, ફેલોશિપ તથા અન્ય વિશિષ્ટ અભ્યાસક્રમો ઉપલબ્ધ બનાવશે. તેમાં વન્યજીવન ઔષધિ તેમજ શસ્ત્રક્રિયા, પોષણ, વર્તણૂકીય વિજ્ઞાન, આનુવંષિકતા, રોગશાસ્ત્ર, વન હેલ્થ, સંવર્ધન નીતિ અને કુદરતી પ્રાણી સંભાળને લગતી પર્યાવરણ ડિઝાઇનનો સમાવેશ થાય છે. વનતારાની ઓપરેશનલ ક્ષમતાઓ સાથે સંરેખિત સ્પેશ્યલાઈઝ કોલેજો થકી આ યુનિવર્સિટી દ્વારા સામાજિક અને આર્થિક રીતે હાંસિયામાં ધકેલાયેલા વર્ગોના વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવા શિષ્યવૃત્તિ પણ આપશે. વનતારા યુનિવર્સિટીને અદ્યતન શૈક્ષણિક અને ક્લિનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરરાષ્ટ્રીય સહયોગો તેમજ રહેણાંક કેમ્પસનો સહયોગ મળશે. તે પ્રાણી કલ્યાણ અને અદ્યતન સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવા માટે કાર્યલક્ષી સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેનું શૈક્ષણિક મોડેલ ઇન-સિટુ અને એક્સ-સિટુ સંવર્ધનનું સંકલન કરશે, કુદરતી આવાસોને વૈજ્ઞાનિક સંભાળ અને લાંબાગાળાના વન્યજીવ કલ્યાણ તથા વ્યવસ્થાપન સાથે જોડશે. પ્રાણી સંવર્ધનના ભવિષ્યનું ઘડતર વર્ગખંડો, પ્રયોગશાળાઓ અને માનવીના અંતરાત્મા તેમજ જંગલોમાં જ થશે તે બાબતને સારી રીતે અનુભવીને આ યુનિવર્સિટી વન્યજીવ પશુચિકિત્સા વિજ્ઞાન અને સંવર્ધન શિક્ષણને આગળ ધપાવવાનો ઉદ્દેશ ધરાવે છે. તે એક સાથે વન્યજીવ આરોગ્ય, પ્રાણી સંભાળ પર્યાવરણ ડિઝાઇન અને સંરક્ષણમાં જ્ઞાન સંસાધનો વિકસાવશે, જે શિક્ષણ, સંશોધન અને નવીનતા માટે લાંબાગાળાના પ્લેટફોર્મ તરીકે સેવા આપશે. આ શિલાન્યાસ સમારોહની સાથે જ કરુણાસભર સંવર્ધન શિક્ષણને આગળ વધારવા માટેના વ્યાપક રાષ્ટ્રીય પ્રયાસનો પણ શુભારંભ થયો હતો. આમાં 'વનતારા યુનિવર્સિટીના સ્થાપક ફેલો' અને 'એવરી લાઇફ મેટર્સ' શિષ્યવૃત્તિની જાહેરાતનો સમાવેશ થાય છે, જેની સાથે જ જ્ઞાનનો ઉપયોગ માત્ર પ્રગતિ માટે જ નહીં, પરંતુ રક્ષણ માટે પણ કરવાનું આહ્વાન કરાયું છે. વનતારા યુનિવર્સિટીના વિઝનમાં તેને એક શૈક્ષણિક પ્લેટફોર્મ કરતાં પણ એક કદમ આગળ પ્રસ્થાપિત કરવામાં આવી છે. તે એ દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે કે વન તથા વન્યજીવોને માત્ર પ્રશંસા જ નહીં, પણ જ્ઞાન, પ્રણાલીઓ અને પ્રશિક્ષિત હાથો વડે કરાતી સેવાની પણ જરૂર છે. વનતારા એ જામનગર ખાતે આવેલી વન્યજીવોના બચાવ, પુનર્વસન, આરોગ્યસંભાળ અને સંરક્ષણ માટેની પાયાની પહેલ છે. અદ્યતન પ્રાણીચિકિત્સા, કલ્યાણ-લક્ષી સંભાળ, વ્યાવહારિક વિજ્ઞાન અને મોટા પાયે સંરક્ષણ આયોજનનો સમન્વય કરીને, વનતારા વિવિધ પ્રજાતિના પ્રાણીઓ માટે વિશિષ્ટ સારવાર, રિકવરી અને લાંબા ગાળાની સહાય પૂરી પાડે છે. સંરક્ષણ પ્રજનન, પ્રજાતિઓની પુનઃપ્રાપ્તિ અને ભવિષ્યમાં તેમને ફરીથી કુદરતી આવાસમાં મુક્ત કરવાના માર્ગોમાં વધતી જતી ભૂમિકા સાથે, વનતારા વન્યજીવન આરોગ્ય સંભાળ, સંરક્ષણ વિજ્ઞાન અને પ્રજાતિઓના પુનઃસ્થાપનમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ઉત્કૃષ્ટ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 11:36 am

રાજકોટ ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન:જાહેર સભા સંબોધન બાદ 72 ઉમેદવારો એક સાથે પોતાની ઉમેદવારી નોંધાવશે, નારાજ આગેવાનો અને કાર્યકર્તાની ગેરહાજરી

રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીને લઇ આજે 11 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીના 72 ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કરવા જઈ રહ્યા છે. આ પહેલા રેસકોર્સ રિંગ રોડ પર બહુમાળી ભવન ચોક ખાતે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. પરંતુ આ વિજય વિશ્વાસ સંમેલનમાં નારાજ નેતાઓ અને કાર્યકર્તાની ગેરહાજરી જરૂર જોવા મળી રહી છે. દરેક કાર્યકર્તાઓ બૂથ સુધી પહોંચશે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગઈકાલે અમારા 72 ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ઉમેદવારોની જાહેરાત થતાની સાથે આખી રાત કાર્યાલય ખાતે ભાજપ લીગલ સેલની મદદથી ઉમેદવારોના ફોર્મ ભરવા પ્રક્રિયા કરવામાં આવી છે. આજે અમારું વિજય વિશ્વાસ સંમેલન છે જે પૂર્ણ કરી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરી ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવશે. આજે સાંજથી જ બધા કાર્યકર્તાઓ દરેક બુથ સુધી પહોંચી પ્રચારમાં જોડાઈ જશે. 72 બેઠક ઉપર કમળ ખીલશે:ડો. માધવ દવેડો. માધવ દવેએ વધુમાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર 15માં પણ આ વખતે અમે ખાસ રણનીતિ બનાવી છે. તમામ 72 બેઠક ઉપર કમળ ખીલાવી તમામ 72 બેઠક પર જીત મેળવીશું. દેશમાં મોદી સાહેબ અને રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની સરકાર જે રીતે વિકાસના કામ કરે છે. એટલે રાજકોટમાં પણ આ વખતે લોકો વિકાસને ધ્યાનમાં રાખી તમામ બેઠક પર ભાજપને જીત અપાવશે તેવો મને વિશ્વાસ છે. કાર્યકર્તા કોઈ નારાજ થાય તો તેને સાંભળવાની મારી જવાબદારી છે. મેં દરેકને સાંભળી તેમને યોગ્ય આશ્વાસન આપ્યું છે હવે કોઈ નારાજગી નથી બધા એક થઇ આજથી ચૂંટણી પ્રચારમાં જોડાઈ જશે. પોલીસ બોલાવવી પડી એવી સ્થિતિ હતીગઈકાલે સાંજે ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની યાદી બાદ ટિકિટ ન મળતા કેટલાક નેતાઓમાં નારાજગી જરૂર જોવા મળી હતી. શહેરના વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 13, વોર્ડ નંબર 14, અને વોર્ડ નંબર 18માં ટિકિટ ઇચ્છતા નેતાઓ અને તેના સમર્થકોમાં નારાજગી જોવા મળી હતી. આ પૈકી વોર્ડ નંબર 3, 13, અને 14ના કાર્યકર્તા ટોળા સાથે કમલમ કાર્યાલય આવી પહોંચતા મોડી રાત સુધી અહીં પોલીસ બંદોબસ્ત મુકવાની પણ ફરજ પડી હતી. જો કે આવું કદાચ પ્રથમ વખત બન્યું હશે કે ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપ કાર્યાલય ખાતે પોલીસ બોલાવી પડી હોય. ભાજપ શિસ્ત બધ્ધ પાર્ટી છે અને આ શિસ્ત બધ્ધ પાર્ટીના કાર્યકર્તાઓ કદાચ ગઈકાલે પોતાની પાર્ટીની શિસ્તતા ભૂલી ગયા હોય તેવું ચોક્કસ લાગી રહ્યું હતું. પૂર્વ મેયર, પૂર્વ દંડક સહિતના પત્તા કપાયા મહાનગર પાલિકાના 72 ઉમેદવારો પૈકી 22 ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે જયારે 50 નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જે નેતાઓની ટિકિટ કપાઈ છે તેમાં મુખ્યત્વે ગત 5 વર્ષની ટર્મના મુખ્ય 10 પદાધિકારીઓ પૈકી માત્ર 2 જ પદાધિકારીને રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવ અને પૂર્વ ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. જયારે રાજકોટ મનપાના પૂર્વ મેયર નયનાબેન પેઢડિયા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, પૂર્વ દંડક મનીષ રાડિયા અને સુરેન્દ્રસિંહ વાળા, પૂર્વ શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને વિનુભાઈ ઘવા, તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરાની બાદબાકી કરી પક્ષ દ્વારા તેમને કાપી નવા ચહેરાને તક આપવામાં આવી છે. મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીમાં છેલ્લે સુધી ભારે ખેંચતાણ જોવા મળી હતી. ગાંધીનગર કમલમમાં પણ મોટા નેતાઓ વચ્ચે પોતાના માણસો સાચવવામાં તુ-તું મેં-મેં થઇ હોવાની પણ ચર્ચા મોડી રાત સુધી રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે ઉપસ્થિત કાર્યકરોમાં ચર્ચાતી જોવા મળી હતી. શહેરના ચાર ધારાસભ્યો પૈકી બે ધારાસભ્યો વચ્ચે ઉમેદવારોની પસંદગી માટે ખેંચતાણ ચાલી હતી અને ઉમેદવારોની જાહેરાતના અંતે 72 ઉમેદવારોની પસંદગી અને ટિકિટ ફાળવણીમાં મહિલા ધારાસભ્યનું પલડું ભારે રહ્યું હોવાનો પણ ગણગણાટ થતો સંભળાયો હતો.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 11:16 am

મનપાની ટિકિટ ફાળવણીથી ભાજપમાં કહી ખુશી કહી ગમ!:અનેકના પત્તા કપાતા કાર્યકરોમાં ભારે રોષ, પરિવારવાદ અને ધારાસભ્યના લોબિંગથી જાણો કેટલાને લોટરી લાગી!

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ભારે ખેંચતાણ બાદ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા 10 એપ્રિલે મોડી રાત્રે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવ્યા બાદ અનેક વોર્ડમાં કાર્યકર્તાઓ અને પૂર્વ હોદ્દેદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ભાજપ દ્વારા અનેક સિનિયર અને અનુભવી કોર્પોરેટરોની ટિકિટ કાપી નાખવામાં આવી હતી. ધારાસભ્યો અને પ્રદેશના હોદ્દેદારોના હઠાગ્રહના કારણે અનેક લોકોના પત્તા કપાયા હતા. ત્યારે હવે ભાજપમાં ખૂબ જ આંતરિક ભડકો ઉભો થયો છે. ભાજપ દ્વારા પરિવાર વાદ પણ ચલાવવામાં આવ્યો છે. મહાનગરપાલિકામાં પૂર્વ કોર્પોરેટરોના દીકરા, દીકરી અને પત્નીને ટિકિટ આપવામાં આવી છે. કહી ખુશી કહી ગમ!નરોડા વિધાનસભામાં આવતા સરદારનગર અને નરોડા વોર્ડ માટે પ્રદેશ પાર્લામેન્ટ્રીમાં ખૂબ ચર્ચા થઈ હતી. નરોડા વોર્ડમાંથી ભાજપમાંથી કામ કરતા કાર્યકર્તાઓને ટિકિટ આપવાની જગ્યાએ ગાડીઓ લઈને ફરવા વાળા લોકોને ટિકિટ આપવામાં આવતા સોશિયલ મીડિયામાં બળાપો કાઢવામાં આવ્યો છે. ભાજપના ધારાસભ્યએ પોતાનું લોબીંગ કરીને માણસોને ટિકિટ અપાવી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે અને કેટલાક લોકોએ રાજીનામાં પણ આપી દીધા છે. પાલડીમાં પ્રતિશ મહેતાની ટિકિટ કપાઈAMCમાં ખૂબ જ અનુભવી અને સિનિયર ગણાતા એવા પાલડી વોર્ડમાંથી પ્રતિશ મહેતાને ટિકિટ મળી નથી. પૂર્વ ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા પ્રીતિશ મહેતાએ લાલ દરવાજામાં આવેલા ભદ્ર પરિસરમાં રહેલા દબાણને દૂર કરવા માટે ખૂબ જ મહેનત કરી અને છેલ્લે સુધી લડત આપી ભદ્ર પરિસરને દબાણ મુક્ત કર્યુ હતું. જો કે તેમની મહેનત હોવા છતાં પણ છેવટે તેમની ટિકિટ કાપી નાખવામાં આવી છે. પાલડીમાંથી જૈનને ટિકિટ આપવાની હોવાને લઈને પ્રીતિશ મહેતાને કાપી પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટની ભત્રીજી ક્રિમિ ગાંધીને ટિકિટ આપવામાં આવી છે. પ્રકાશ ગુર્જરના સ્થાને નવા ચહેરાને તકબાપુનગર વોર્ડમાંથી જીતેલા અને પૂર્વ લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જરની ટિકિટ પણ કાપી નાખવામાં આવતા ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. ગત ટર્મમાં લીગલ કમિટી ખૂબ જ નબળી રહી હતી જેને ફરીથી જાગૃત કરી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષોથી બાકી રહેલા પેન્ડિંગ કેસો અને લીગલ વિષયોને ફરીથી ઉપાડીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લીગલ કેસોમાં સફળતા અપાવી હતી પરંતુ લીગલ કમિટીના ચેરમેન તરીકે તેમની કામગીરી અને બાપુનગરમાં સેવાકીય સંસ્થા દ્વારા પોતાની કામગીરી સારી હોવા છતાં તેમની ટિકિટ કાપી નાખવામાં આવી છે. વિરોધ વચ્ચે યુવા આગેવાન વિરલ વ્યાસને ટિકિટ ન મળીરાણીપ વોર્ડમાં સૌથી સક્રિય, યુવા અને પૂર્વ કોર્પોરેટર વિરલ વ્યાસની પણ ટિકિટ કાપી નાખવામાં આવી છે. સાબરમતીના ધારાસભ્ય દ્વારા વિરલ વ્યાસનું નામ મુકવામાં આવ્યું હતું. સૂત્રો મુજબ પૂર્વ ધારાસભ્ય અને કેટલાક હોદ્દેદારોના વિરલ વ્યાસને ટિકિટ આપવાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. તેને ટિકિટના આપવા રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે તેમની ટિકિટ કાપી નાખવામાં આવી છે. સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં પણ રેવન્યુ કમિટીના પૂર્વ ડેપ્યુટી ચેરમેન અને બે ટર્મ કોર્પોરેટર રહી ચૂકેલા પ્રદીપ દવે અને બે ટર્મના કોર્પોરેટર રહી ચૂકેલા મુકેશ મિસ્ત્રી બંનેની ટિકિટ કાપી નાખવામાં આવી છે. અને તેમના સ્થાને માત્ર એક જ મહિલા ઉમેદવારને રીપીટ કરવામાં આવ્યા છે. સિનિયર બંને કોર્પોરેટર હોવા છતાં પણ નવા કોર્પોરેટરોને સ્થાન આપવામાં આવ્યું છે. પૂર્વ મહિલા કોર્પોરેટરે કામ કર્યું છતાં અવગણનાઅમરાઈવાડી વોર્ડમાં સૌથી યુવા કોર્પોરેટર રહી ચૂકેલા પ્રતિભા દુબેને પણ ટિકિટ આપવામાં આવી નથી. અમરાઈવાડીમાં સૌથી સક્રિય કોર્પોરેટર તરીકે સ્લમ વિસ્તારમાં સ્થાનિક લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે કામગીરી કરવામાં આવતી હતી. મહિલા કોર્પોરેટર તરીકે સક્રિય બની કામગીરી કરતા હતા. જો કે ભાજપના જ કેટલાક લોકો દ્વારા તેમની કામગીરીને લઈને હેરાનગતિ કરવામાં આવતી હોવા અંગેની ફરિયાદ પણ મહિલા કોર્પોરેટરને કરવી પડી હતી. સક્રિય મહિલા કોર્પોરેટર હોવા છતાં પણ તેમની ટિકિટ ધારાસભ્યના કારણે કાપવામાં આવ્યું હોવાની ચર્ચા છે. વસ્ત્રાલમાં પાટીદાર ફેક્ટરના આધારે ટિકિટરેવન્યુ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂકેલા અનિરુદ્ધસિંહ ઝાલાની પણ વસ્ત્રાલમાંથી ટિકિટ કાપી નાખવામાં આવી છે. અનુભવી અને જૈનિક વકીલ દ્વારા રેવન્યુ કમિટીને ફરીથી જાગૃત કરવામાં આવી હતી અને તેને વધારે સારી રીતે ચલાવી અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઐતિહાસિક ટેક્સની આવક લાવવા માટે અનેક નિર્ણયો લીધા હતા. જો કે અનિરુદ્ધસિંહ ઝાલાની પણ ટિકિટ કાપી અને હોસ્પિટલના પૂર્વ ચેરમેન પરેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે. પાટીદાર ફેક્ટર હોવાથી તેમને ટિકિટ આપી દેવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો માટે ધારાસભ્યોનું લોબિંગ સૌથી વધારે ફળી ગયું છે. મહાનગરપાલિકાની ચૂંટણી માટે ધારાસભ્યોએ પોતાના માણસોને ટિકિટ અપાવવા માટે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ખૂબ જ રજૂઆતો કરી હતી અને પ્રદેશના નેતાઓએ તેમની રજૂઆતો સાંભળી હતી. ક્યાંકને ક્યાંક ટિકિટ ન આપવા માટે અને પોતાના માણસોને સેટ કરવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ત્યારે પ્રદેશના નેતાઓએ છેવટે ધારાસભ્યોના માણસોને ટિકિટ આપી છે. જો કે કેટલાક લોકોએ ધારાસભ્યોના માણસોને ટિકિટ ન આપવા રજૂઆત કરી હતી. જેમાં પણ કેટલીક જગ્યાએ ધારાસભ્યોના માણસોને કાપવાની જગ્યાએ શહેરના હોદ્દેદારોને ગોઠવી દીધા છે. શહેર સંગઠનમાં સ્થાન મેળવેલા લોકોને ટિકિટ આપી દેવામાં આવી છે. વિરોધ વચ્ચે પણ સન્ની ખાનચંદાણી રિપીટનરોડા વિધાનસભામાં સન્ની ખાનચંદાણીનો ખૂબ મોટો વિરોધ હતો. તેમ છતા વિરોધની વચ્ચે તેમને ફરીથી રિપીટ કરી દેવામાં આવ્યા છે. પરંતુ તેમની સાથે ધારાસભ્યના ખૂબ જ નજીક ગણવામાં આવતા ડિમ્પલ વરીનદાનીની ટિકિટ કાપવામાં આવી છે. અસારવા વોર્ડમાં પણ ધારાસભ્યના ખૂબ જ નજીક ગણવામાં શાહીબાગ વોર્ડના પ્રમુખ ગિરીશ વણઝારા, કોર્પોરેટર સુમન રાજપુત અને ઉપ-પ્રમુખ અનસુયાબેન પટેલને ટિકિટ આપી દેવામાં આવી છે. મણીનગર વિધાનસભામાં પણ એનલ પટેલના પત્ની પલક પટેલને ટિકિટ આપવામાં આવી છે. પૂર્વ કોર્પોરેટરોના દીકરા-દીકરીઓ ફાવી ગયા!અમદાવાદ મહાનગરપાલિકામાં સિનિયર પૂર્વ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને બાજુમાં મૂકી અને ગત ટર્મના પૂર્વ કોર્પોરેટરોને ફરીથી રિપિટ કરવાની જગ્યાએ તેમના દીકરા-દીકરીઓ અને પત્નીને ટિકિટ આપવામાં આવી છે. જેને લઈને પણ કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાયો છે. ખાડિયા વોર્ડમાંથી પૂર્વ કોર્પોરેટર ઉમંગ નાયકના પત્ની હેતલબેન નાયક ને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે થલતેજ વોર્ડમાંથી પૂર્વ કોર્પોરેટર સમીર પટેલના પત્ની દેવળબેન પટેલને ટિકિટ આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 11:05 am

વેરાવળ: સિંધી સમાજની ટિકિટ ફાળવણી સામે નારાજગી:વોર્ડ 1 નહીં તો મતદાન નહીં કરવાની ચીમકી, ભાજપની ચિંતા વધી

ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની ચૂંટણી પહેલાં ભાજપમાં આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે. ટીકીટ ફાળવણીને લઈને સિંધી સમાજમાં નારાજગી પ્રવર્તી રહી છે, જે હવે ખુલ્લેઆમ વિરોધમાં પરિણમી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સિંધી સમાજના એક દાવેદાર ઉમેદવારને પરંપરાગત રીતે મજબૂત ગણાતા વોર્ડ નંબર 1ને બદલે વોર્ડ નંબર 8માંથી ટીકીટ ફાળવવામાં આવી છે. આ નિર્ણયથી સમાજમાં ભારે અસંતોષ ફેલાયો છે. સમાજના આગેવાનો આને અન્યાય અને અવગણના ગણાવી રહ્યા છે, કારણ કે વોર્ડ નંબર 1માં સિંધી સમાજનો નોંધપાત્ર પ્રભાવ છે. આ નિર્ણયના વિરોધમાં સિંધી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એકઠા થયા હતા. તેમણે પક્ષના નેતૃત્વ સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી. કાર્યાલય બહાર થોડા સમય માટે તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. સમાજના આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વોર્ડ નંબર 1માંથી ટીકીટ ફાળવવાની તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે, તો સિંધી સમાજ આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરી શકે છે. આ ચીમકી ભાજપ માટે રાજકીય રીતે મહત્વપૂર્ણ છે, કારણ કે સ્થાનિક સ્તરે સિંધી સમાજનો મતબેંક નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. વોટ્સએપ ગ્રુપ્સ અને ફેસબુક પર સમાજના સભ્યો દ્વારા વિરોધ દર્શાવતા સંદેશાઓ અને અપીલો વાયરલ થઈ રહી છે, જેના કારણે રાજકીય ગરમાવો વધ્યો છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ માટે આ આંતરિક વિખવાદ એક મોટો પડકાર બની શકે છે. વિરોધ પક્ષો આ મુદ્દાને રાજકીય હથિયાર તરીકે ઉપયોગમાં લેવાની તૈયારીમાં છે, જ્યારે ભાજપ નેતૃત્વ માટે આ અસંતોષને શાંત કરવો અને સમાજને મનાવવો અનિવાર્ય બન્યું છે. આ મામલે જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજય પરમારે જણાવ્યું હતું કે, સિંધી સમાજ સાથે વાટાઘાટો ચાલી રહી છે. તેમણે આશાવાદ વ્યક્ત કર્યો કે સમજાવટ દ્વારા આ મામલો થાળે પડી જશે. હવે જોવું રહ્યું કે પક્ષનું હાઈકમાન્ડ સમયસર હસ્તક્ષેપ કરીને આ વિવાદને શાંત પાડે છે કે કેમ, અથવા સિંધી સમાજની નારાજગી ચૂંટણીના પરિણામો પર અસર કરશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 11:03 am

ભાજપે નવસારી માટે 52 ઉમેદવારો જાહેર કર્યા:44 નવા ચહેરા, માત્ર 8 જૂના જોગીઓને રિપીટ કરાયા

નવસારી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીએ તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે આ વખતે 'નો-રિપીટ' થિયરી અપનાવીને 44 નવા ચહેરાઓને તક આપી છે, જ્યારે માત્ર 8 પૂર્વ કોર્પોરેટરોને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. પક્ષે કુલ 52 બેઠકોમાંથી મોટાભાગની બેઠકો પર ફેરફાર કર્યો છે. આ નિર્ણય આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. મહિલા ઉમેદવારોની વાત કરીએ તો, કુલ 26 મહિલા ઉમેદવારોમાંથી 23 નવી મહિલાઓને તક મળી છે, જ્યારે 3 મહિલાઓને રિપીટ કરવામાં આવી છે. તેવી જ રીતે, કુલ 26 પુરુષ ઉમેદવારોમાંથી 21 નવા ચહેરાઓ છે, જ્યારે 5 પુરુષોને ફરીથી ઉમેદવારી આપવામાં આવી છે. પક્ષ દ્વારા જાહેર કરાયેલા મુખ્ય ઉમેદવારોના નામમાં વોર્ડ નં. 1માંથી કેયુરી જયદીપભાઈ દેસાઈ, વોર્ડ નં. 2માંથી કૃતિકાબેન અક્ષયભાઈ પાટીલ, વોર્ડ નં. 5માંથી મુકેશ સુરેશચંદ્ર અગ્રવાલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વોર્ડ નં. 8માંથી નીતુબેન રવિકુમાર શાહ અને નરેશકુમાર ખેંગારજી પુરોહિત, વોર્ડ નં. 10માંથી સુનિલ રઘુનાથ પાટીલ, વોર્ડ નં. 11માંથી પરેશભાઈ દિનેશભાઈ ભારતીય અને વોર્ડ નં. 13માંથી વિજયભાઈ મંગુભાઈ રાઠોડને ટિકિટ આપવામાં આવી છે. ભાજપના આ નિર્ણયથી પક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ શહેરના વિકાસ માટે નવા વિઝન ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:58 am

વલસાડમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: ઉમરગામ નગરપાલિકામાં માત્ર 3 ફોર્મ:જિલ્લા-તાલુકા પંચાયતની 186 બેઠકો પર 456 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી

વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાના પાંચમા દિવસના અંતે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. જિલ્લા પંચાયતની 36 બેઠકો પર 89 અને તાલુકા પંચાયતની 150 બેઠકો પર 367 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જોકે, ઉમરગામ નગરપાલિકામાં અત્યાર સુધી માત્ર 3 જ ફોર્મ ભરાયા છે, જે આશ્ચર્યજનક સ્થિતિ દર્શાવે છે. ભાજપે શુક્રવારે તેના સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર કરતા કાર્યકરો અને દાવેદારોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ જાહેરાત બાદ ઉમેદવારી પત્રો ભરવામાં વધુ તેજી જોવા મળી હતી. જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકો માટે અત્યાર સુધીમાં 89 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. જિલ્લાની 6 તાલુકા પંચાયતની કુલ 150 બેઠકો માટે અત્યાર સુધીમાં 367 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ધરમપુર તાલુકા પંચાયતમાં ચૂંટણી લડવા માટે સૌથી વધુ ઉત્સાહ જોવા મળ્યો છે. તાલુકા પંચાયત મુજબ ફોર્મની વિગત નીચે મુજબ છે: ધરમપુરમાં 24 બેઠકો પર 86 ઉમેદવારો, કપરાડામાં 22 બેઠકો પર 71 ઉમેદવારો, નાનાપોંઢામાં 20 બેઠકો પર 66 ઉમેદવારો, પારડીમાં 22 બેઠકો પર 65 ઉમેદવારો, ઉમરગામમાં 30 બેઠકો પર 63 ઉમેદવારો અને વલસાડમાં 32 બેઠકો પર સૌથી ઓછા 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ઉમરગામ નગરપાલિકામાં ચિત્ર તદ્દન અલગ છે. અહીં 7 વોર્ડની 28 બેઠકો હોવા છતાં પાંચમા દિવસ સુધી માત્ર વોર્ડ નં. 7 માંથી જ 3 ફોર્મ ભરાયા છે. બાકીના એક પણ વોર્ડમાં હજુ સુધી કોઈએ ઉમેદવારી નોંધાવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ અહીંની કેટલીક બેઠકો બિનહરીફ કરવા માટે સક્રિય પ્રયાસો કરી રહ્યું છે. શનિવારે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. ભાજપના 28 ઉમેદવારો એકસાથે શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરશે તેવી અપેક્ષા છે. બીજી તરફ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પણ પોતાના ઉમેદવારો જાહેર કરશે. આ સાથે જ સાંજ સુધીમાં ચૂંટણી જંગનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:54 am

બિલ્ડર 'તુષાર ઘેલાણી' જેવો કાંડ કરવાની ધમકી:સુરત AAPના પ્રવક્તા કાળુ વઘાસિયા સામે ચૂંટણી ટાળે જ રેપની FIR; પરિણીતાને લગ્નની લાલચ આપી હોટેલોમાં શરીર સંબંધ બાંધ્યા

સુરતના લસકાણા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયા સામે દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. ‘પત્નીને છૂટાછેડા આપી તારી સાથે લગ્ન કરીશ’ તેવી માયાજાળ રચીને પ્રવક્તાએ પરિણીત મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું. અંતે લગ્નનો ઇનકાર કરી મહિલાને 'તુષાર ઘેલાણી' જેવો કાંડ કરવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. સોશિયલ મીડિયા પર જાળ બિછાવી મિત્રતા કરીલસકાણા વિસ્તારમાં રહેતી પીડિત મહિલાનો સંપર્ક કાળુ ચતુરભાઈ વઘાસિયાએ ડિસેમ્બર, 2024માં સોશિયલ મીડિયાના માધ્યમથી કર્યો હતો. શરૂઆતમાં સામાન્ય હાય-હેલોથી શરૂ થયેલી વાતચીત બાદ કાળુએ મહિલા સાથે નિકટતા કેળવી હતી. રાજકીય વગ ધરાવતા કાળુએ પોતાની મીઠી વાતોમાં મહિલાને વિશ્વાસમાં લીધી હતી. 'પત્ની સાથે બનતું નથી' કહી લગ્નની લાલચ આપીકાળુ વઘાસિયાએ મહિલા સમક્ષ પોતાના અંગત જીવનનું દુઃખ રડ્યું હતું. તેણે જણાવ્યું હતું કે, તેને તેની પત્ની સાથે બનતું નથી અને પત્ની લાંબા સમયથી પિયરમાં રહે છે. હું ટૂંક સમયમાં પત્નીને છૂટાછેડા આપી દઈશ અને તારી સાથે લગ્ન કરી તને પત્ની તરીકે સ્વીકારીશ તેવી લાલચ આપી મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. ઘરે અને હોટેલોમાં અવારનવાર દુષ્કર્મ આચર્યુંલગ્નના વાયદા પર વિશ્વાસ કરીને મહિલા કાળુ સાથે સંબંધમાં રહી હતી. આરોપી કાળુ મહિલાને તેના ઘરે તેમજ શહેરની અલગ-અલગ હોટેલોમાં લઈ ગયો હતો. ત્યાં લગ્નની લાલચ આપી અવારનવાર મહિલાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા. લાંબો સમય શોષણ કર્યા બાદ જ્યારે મહિલાએ લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે આરોપીએ પોતાના અસલી તેવર બતાવ્યા હતા. ગાળો આપી ધમકી, ‘તને અને તારા દીકરાને જીવવા નહીં દઉં’મહિલાએ લગ્ન કરવાનું કહેતા જ કાળુ વઘાસિયા ઉશ્કેરાઈ ગયો હતો અને બિભત્સ ગાળો આપી લગ્ન કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. આરોપીએ મહિલાને ડરાવવા માટે ધમકી આપતા કહ્યું હતું કે, જો તું પોલીસમાં ફરિયાદ કરીશ તો હું તુષાર ઘેલાણીની જેમ મરી જઈશ અને તને તથા તારા દીકરાને જીવવું અઘરું પાડી દઈશ. લસકાણા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યોઆખરે કાળુના ત્રાસ અને ધમકીથી કંટાળીને મહિલાએ લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આમ આદમી પાર્ટીના પ્રવક્તા વિરુદ્ધ રેપ અને જાનથી મારી નાખવાની ધમકી હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકીય હોદ્દો ધરાવતા વ્યક્તિ સામે ગંભીર આક્ષેપો થતા લસકાણા પોલીસ અત્યારે પૂરાવાઓ એકત્રિત કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:50 am

વાપી મહાનગરપાલિકા ચૂંટણી: ઉમેદવારીનો અંતિમ દિવસ, ભારે ધસારો:13 વોર્ડની 52 બેઠકો માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ

વલસાડ જિલ્લાની વાપી મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય ચૂંટણી માટે રાજકીય માહોલ ગરમાયો છે. આગામી 26 એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે. શનિવારે વાપી મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળવાની શક્યતા છે. ભાજપે ઉમેદવારીના પાંચમા દિવસે જ તમામ 13 વોર્ડની 52 બેઠકો માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી હતી. બીજી તરફ, શુક્રવારે બપોરના 3 વાગ્યા સુધીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કુલ 39 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. હાલ સુધી મળતી માહિતી મુજબ, 13 વોર્ડમાં કુલ 39 ઉમેદવારો મેદાનમાં ઉતરી ચૂક્યા છે. જેમાં વોર્ડ નંબર 8માં સૌથી વધુ 6 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે, જ્યારે વોર્ડ નંબર 11માં 5 ઉમેદવારોએ ચૂંટણી જંગ માટે તૈયારી દર્શાવી છે. ઉમેદવારીનો અંતિમ દિવસ હોવાથી ભાજપના તમામ 52 ઉમેદવારો ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બાકી રહેલા ઉમેદવારો આજે પોતાના ફોર્મ ભરશે. આ કારણે મામલતદાર કચેરી ખાતે રાજકીય કાર્યકરો અને સમર્થકોની મોટી ભીડ ઉમટી પડવાની સંભાવના છે. ટિકિટ વિતરણમાં કેટલાક ચોંકાવનારા ફેરફારો પણ જોવા મળ્યા છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અને વોર્ડ નંબર 4માંથી ટિકિટ માટે દાવેદારી કરનાર વિનોદ પટેલને ભાજપે ટિકિટ આપી નથી. ટિકિટ મળશે તેવી ખાતરીથી તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો હતો. હવે તેઓ અપક્ષ તરીકે કે ફરી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવશે કે કેમ તે અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. વાપી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાશ્મીરાબેન શાહ, જેમણે નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી, તેઓ પણ ચર્ચામાં છે. ઉપરાંત, મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા 11 ગામોમાંથી 5 સરપંચો અને તેમના પરિવારજનોને વોર્ડ નંબર 5માંથી ટિકિટ આપવામાં આવી છે. વાપી VIA પ્રમુખ અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સતીશ પટેલને પણ ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે વોર્ડ નંબર 4માંથી સરદાર ભિલાડવાળા બેંકના પૂર્વ ડિરેક્ટર દર્પણ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. ચૂંટણીના અંતિમ તબક્કામાં ભાજપ કેટલીક બેઠકો બિનહરીફ જીતવા માટે પ્રયાસ કરી રહી છે. જોકે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ છેલ્લી ઘડીએ જોર લગાવતી જોવા મળી રહી છે. આમ, વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે સીધી ટક્કર જોવા મળશે, અને અંતિમ દિવસે ઉમેદવારીનો જંગ વધુ રસપ્રદ બનવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:49 am

જામનગર: પૂર્વ કોર્પોરેટર કેશુભાઈ માડમ ભાજપ છોડી BSPમાં જોડાયા:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય હડકંપ, વોર્ડ 4માં ચતુષ્કોણીય જંગ

જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ગરમાવો વધી રહ્યો છે. આ દરમિયાન જામનગર મહાનગરપાલિકાના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તે પૂર્વે જ પક્ષમાં ભંગાણ સર્જાયું છે. વોર્ડ નંબર 4ના પૂર્વ કોર્પોરેટર કેશુભાઈ માડમે ભાજપ સાથે છેડો ફાડી વિધિવત રીતે બહુજન સમાજ પાર્ટી (BSP)નો ખેસ ધારણ કરી લીધો છે. કેશુભાઈ માડમ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4માં ભાજપના સૌથી સક્ષમ અને મજબૂત ચહેરા તરીકે જાણીતા હતા. તેઓ સતત છેલ્લી ત્રણ ટર્મથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવતા હતા, જે તેમની વિસ્તાર પરની મજબૂત પકડ અને લોકપ્રિયતા દર્શાવે છે. ભાજપના આ ગઢ ગણાતા વિસ્તારમાં કેશુભાઈનું પક્ષ છોડવું એ આગામી ચૂંટણીમાં ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટિકિટ વિતરણ પૂર્વે આંતરિક અસંતોષ અથવા નવા રાજકીય સમીકરણોને પગલે કેશુભાઈએ આ નિર્ણય લીધો હોવાનું મનાય છે. તેમના BSPમાં જોડાવાથી હવે વોર્ડ નંબર 4ની બેઠક પર રસાકસી જામશે. કેશુભાઈ માડમના BSPમાં પ્રવેશ સાથે જ જામનગરના વોર્ડ નંબર 4માં ચૂંટણી જંગ હવે વધુ રોમાંચક બન્યો છે. અત્યાર સુધી મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લડાઈ જોવા મળતી હતી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. હવે ભાજપ પોતાનો ગઢ સાચવવા માટે નવા ચહેરા પર દાવ લગાવી શકે છે. કોંગ્રેસ ભાજપના આંતરિક વિખવાદનો લાભ લેવા પ્રયત્ન કરશે. આમ આદમી પાર્ટી (AAP) ત્રીજા વિકલ્પ તરીકે મેદાનમાં છે, જ્યારે BSP કેશુભાઈ જેવા અનુભવી ચહેરા સાથે મજબૂત પદાર્પણ કરવા સજ્જ છે. જામનગરના રાજકારણમાં માડમ પરિવારનો દબદબો રહ્યો છે. ત્યારે કેશુભાઈનું ભાજપ છોડવું એ માત્ર એક વ્યક્તિનો પક્ષ પલટો નથી, પરંતુ વોર્ડ નંબર 4ના મતોના ગણિતમાં મોટો ઉલટફેર લાવી શકે છે. આગામી દિવસોમાં આ પક્ષ પલટાની અસર અન્ય વોર્ડ પર કેવી પડે છે તે જોવું રસપ્રદ રહેશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:43 am

અનંત અંબાણીએ જામનગરમાં વનતારા યુનિવર્સિટી શરૂ કરી:વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા માટે વિશ્વની પ્રથમ ગ્લોબલ યુનિવર્સિટી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા વનતારાએ ગુજરાતના જામનગરમાં વનતારા યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી છે. વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત આ યુનિવર્સિટી વિશ્વની પ્રથમ સંકલિત ગ્લોબલ યુનિવર્સિટી છે. વનતારા યુનિવર્સિટી પ્રાણી કલ્યાણ, વૈજ્ઞાનિક પ્રગતિ અને વન્યજીવ સંરક્ષણના ભવિષ્ય સાથે મૂળથી જોડાયેલી છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ પ્રાણીચિકિત્સા ઔષધિ (વેટરીનરી મેડિસીન), સંરક્ષણ અને વન્યજીવ સંભાળના ભાવિ નેતૃત્ત્વને તૈયાર કરવાનો છે. તેનો અભ્યાસક્રમ ભારતની જ્ઞાન પરંપરાઓનો ઉપયોગ કરીને શિક્ષણના ઉદ્દેશ-આધારીત અને ભવિષ્ય-લક્ષી મોડેલને આકાર આપશે. આ યુનિવર્સિટી ભારતને વન્યજીવ અને પ્રાણીચિકિત્સા શિક્ષણ માટેના ગ્લોબલ હબ તરીકે પ્રસ્થાપિત કરવાનું લક્ષ્ય ધરાવે છે. અનંત અંબાણીએ જણાવ્યું હતું કે,વન્યજીવ સંરક્ષણનું ભવિષ્ય એ બાબત પર નિર્ભર રહેશે કે આપણે કેવી રીતે કરુણા, જ્ઞાન અને કૌશલ્ય સાથે જીવનની સેવા કરવા માટેના મન અને સંસ્થાઓને તૈયાર કરીએ છીએ.તેમણે ઉમેર્યું કે તણાવપૂર્ણ પરિસ્થિતિમાં રહેલા પ્રાણીઓને જોવાની તેમની વ્યક્તિગત યાત્રા અને તેમની સંભાળમાં વધુ ક્ષમતાની જરૂરિયાતની સમજથી વનતારા યુનિવર્સિટીને આકાર મળ્યો છે. પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના સિદ્ધાંતો અને આનો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત: (બધી દિશાઓથી ઉમદા વિચારો આપણને પ્રાપ્ત થાઓ) શ્લોકના ભાવથી પ્રેરિત, આ યુનિવર્સિટી દરેક જીવમાત્રનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ નવી પેઢીને તૈયાર કરવા સંકલ્પબદ્ધ છે. આ મૂલ્યોને પ્રતિબિંબિત કરતા, શિલાન્યાસ સ્થળની ડિઝાઇનમાં બે બિજોલિયા રેતશીલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વર્તમાનમાં બિહારમાં આવેલી પ્રાચીન નાલંદાના ભૂસ્તરશાસ્ત્રીય પાયામાં રહેલી પ્રાચીન વિંધ્ય રચનાથી પ્રેરિત આ શિલાઓ ભારતના જ્ઞાન અને શિક્ષણના કાયમી વારસાનું પ્રતીક છે. હિન્દુ પરંપરાઓ અનુસાર આયોજિત આ શિલાન્યાસ સમારોહમાં શ્રી અનંત અંબાણીના શિક્ષકો અને મેન્ટર્સ સહિત શિક્ષણ, વિજ્ઞાન, સંરક્ષણ અને જાહેર જીવનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું હાર્દ હતું પ્રતિકાત્મક શિલાન્યાસ, જેમાં ભારતભરના જૈવિક વિવિધતાથી સમૃદ્ધ પ્રદેશો જેમકે ઘાસિયા મેદાનો, જંગલો, વેટલૅન્ડ્સ, સૂકા પ્રદેશો અને હિમાલય તેમજ દેશના ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ભાગોમાં આવેલા અન્ય ઉચ્ચપ્રદેશોમાંથી એકત્ર કરવામાં આવેલા માટી, પાણી અને પથ્થરનું વિધિપૂર્વક સ્થાપન કરવામાં આવ્યું હતું. આ વિધિ ભારતની ઇકોલોજીકલ સમૃદ્ધિ અને દેશના કુદરતી વારસા પર યુનિવર્સિટીના નિર્માણના વિઝનનું પ્રતીક હતું. વનતારા યુનિવર્સિટી એક જ શૈક્ષણિક ઇકોસિસ્ટમમાં અનેક અલગ-અલગ વિદ્યાશાખાઓને એકજૂટ કરશે, જે વાસ્તવિક સંરક્ષણ પ્રણાલિઓ સાથે સંકળાયેલી હશે. વનતારાના જમીન પરના કાર્યની નિપુણતાનો ઉપયોગ કરીને, આ યુનિવર્સિટી ફિલ્ડ પરના જ્ઞાનને શૈક્ષણિક કાર્યક્રમો, વ્યાવસાયિક તાલીમ અને વૈશ્વિકરીતે સુસંગત માળખામાં તબદિલ કરશે, કરુણા, વિજ્ઞાન અને સંરક્ષણનું એક અનોખું મિશ્રણ કરીને. આ યુનિવર્સિટી વ્યાવસાયિકોને વન્યજીવ અને ઇકોસિસ્ટમની સુખાકારીમાં આવતા જટિલ અને સતત બદલાતા પડકારોનો સામનો કરવા માટે સુસજ્જ બનાવશે. આ યુનિવર્સિટી વિવિધ વિદ્યાશાખાઓમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ-ગ્રેજ્યુએટ, ફેલોશિપ તથા અન્ય વિશિષ્ટ અભ્યાસક્રમો ઉપલબ્ધ બનાવશે. આમાં વન્યજીવન ઔષધિ તેમજ શસ્ત્રક્રિયા, પોષણ, વર્તણૂકીય વિજ્ઞાન, આનુવંષિકતા, રોગશાસ્ત્ર, વન હેલ્થ, સંવર્ધન નીતિ અને કુદરતી પ્રાણી સંભાળને લગતી પર્યાવરણ ડિઝાઇનનો સમાવેશ થાય છે. વનતારાની ઓપરેશનલ ક્ષમતાઓ સાથે સંરેખિત સ્પેશ્યલાઈઝ કોલેજો થકી આ યુનિવર્સિટી દ્વારા સામાજિક અને આર્થિક રીતે હાંસિયામાં ધકેલાયેલા વર્ગોના વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવા શિષ્યવૃત્તિ પણ આપશે. વનતારા યુનિવર્સિટીને અદ્યતન શૈક્ષણિક અને ક્લિનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરરાષ્ટ્રીય સહયોગો તેમજ રહેણાંક કેમ્પસનો સહયોગ મળશે. તે પ્રાણી કલ્યાણ અને અદ્યતન સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવા માટે કાર્યલક્ષી સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેનું શૈક્ષણિક મોડેલ ઇન-સિટુ અને એક્સ-સિટુ સંવર્ધનનું સંકલન કરશે, કુદરતી આવાસોને વૈજ્ઞાનિક સંભાળ અને લાંબાગાળાના વન્યજીવ કલ્યાણ તથા વ્યવસ્થાપન સાથે જોડશે. પ્રાણી સંવર્ધનના ભવિષ્યનું ઘડતર વર્ગખંડો, પ્રયોગશાળાઓ અને માનવીના અંતરાત્મા તેમજ જંગલોમાં જ થશે તે બાબતને સારી રીતે અનુભવીને આ યુનિવર્સિટી વન્યજીવ પશુચિકિત્સા વિજ્ઞાન અને સંવર્ધન શિક્ષણને આગળ ધપાવવાનો ઉદ્દેશ ધરાવે છે. તે એક સાથે વન્યજીવ આરોગ્ય, પ્રાણી સંભાળ પર્યાવરણ ડિઝાઇન અને સંરક્ષણમાં જ્ઞાન સંસાધનો વિકસાવશે, જે શિક્ષણ, સંશોધન અને નવીનતા માટે લાંબાગાળાના પ્લેટફોર્મ તરીકે સેવા આપશે. આ શિલાન્યાસ સમારોહની સાથે જ કરુણાસભર સંવર્ધન શિક્ષણને આગળ વધારવા માટેના વ્યાપક રાષ્ટ્રીય પ્રયાસનો પણ શુભારંભ થયો હતો. આમાં 'વનતારા યુનિવર્સિટીના સ્થાપક ફેલો' અને 'એવરી લાઇફ મેટર્સ' શિષ્યવૃત્તિની જાહેરાતનો સમાવેશ થાય છે, જેની સાથે જ જ્ઞાનનો ઉપયોગ માત્ર પ્રગતિ માટે જ નહીં, પરંતુ રક્ષણ માટે પણ કરવાનું આહ્વાન કરાયું છે. વનતારા યુનિવર્સિટીના વિઝનમાં તેને એક શૈક્ષણિક પ્લેટફોર્મ કરતાં પણ એક કદમ આગળ પ્રસ્થાપિત કરવામાં આવી છે. તે એ દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે કે વન તથા વન્યજીવોને માત્ર પ્રશંસા જ નહીં, પણ જ્ઞાન, પ્રણાલીઓ અને પ્રશિક્ષિત હાથો વડે કરાતી સેવાની પણ જરૂર છે. વનતારા વિશે:વનતારા એ ભારતના ગુજરાતમાં જામનગર ખાતે આવેલી વન્યજીવોના બચાવ, પુનર્વસન, આરોગ્યસંભાળ અને સંરક્ષણ માટેની પાયાની પહેલ છે. અદ્યતન પ્રાણીચિકિત્સા (veterinary medicine), કલ્યાણ-લક્ષી સંભાળ, વ્યાવહારિક વિજ્ઞાન (applied science) અને મોટા પાયે સંરક્ષણ આયોજનનો સમન્વય કરીને, વનતારા વિવિધ પ્રજાતિના પ્રાણીઓ માટે વિશિષ્ટ સારવાર, રિકવરી અને લાંબા ગાળાની સહાય પૂરી પાડે છે. સંરક્ષણ પ્રજનન (conservation breeding), પ્રજાતિઓની પુનઃપ્રાપ્તિ અને ભવિષ્યમાં તેમને ફરીથી કુદરતી આવાસમાં મુક્ત કરવાના માર્ગોમાં વધતી જતી ભૂમિકા સાથે, વનતારા વન્યજીવન આરોગ્ય સંભાળ, સંરક્ષણ વિજ્ઞાન અને પ્રજાતિઓના પુનઃસ્થાપનમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ઉત્કૃષ્ટ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:38 am

આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ:ભાજપ-કોંગ્રેસના મોટાભાગના ઉમેદવાર જાહેર, ફોર્મ ભરવામાં કતારો લાગશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા અંતિમ દિવસ સુધી યાદી જાહેર કરવામાં આવી ન હતી. ગતરોજ યાદી જાહેર થયા બાદ આજે અંતિમ દિવસે તમામ ઉમેદવારો ઉમેદવારીપત્ર ભરશે. ઉમેદવારી ભરવા કેટલાક શક્તિ પ્રદર્શન કરીને જશેમહાનગરપાલિકાની ચૂંટણીમાં અનેક દિગ્ગજોની ટિકિટ કપાઈ છે અને 53 નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. ભાજપના કેટલાક ઉમેદવારો આજે પોતપોતાના વોર્ડમાંથી રેલી સ્વરૂપે ઉમેદવારીપત્ર ભરવા માટે પહોંચશે. કેટલાક ઉમેદવાર શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી નોંધાવશે. ભાજપમાં ટિકિટની ફાળવણી બાદ અનેક વોર્ડમાં વિવાદ જોવા મળ્યો હતો. ત્યારે ઉમેદવારી પત્ર ભરવાની સાથે સાથે ભાજપે અનેક વોર્ડમાં ડેમેજ કંટ્રોલ પણ કરવું પડશે. કોંગ્રેસે મધ્ય રાતે યાદી જાહેર કરીકેટલાક વોર્ડમાં બળવો થવાની શક્યતાઓ જોઈ બેઠેલા કોંગ્રેસે કાલે સાંજથી કેટલાકને ફોન કરીને માહિતી આપી હતી. જો કે મોડી રાત સુધી યાદી જાહેર કરવામાં આવી ન હતી. કોંગ્રેસે મધરાતે યાદી જાહેર કરી હતી. વડોદરા મહાનગરમાં ગત ટર્મમાં વોર્ડ 1માં જીતેલા ઉમેદવાર હરીશ પટેલને કાપવામાં આવ્યા છે. તો જહાં ભરવાડના પત્નીને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ 1માં બંને મહિલા ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. હાલ સુધીમાં 293 ફોર્મ ભરાયાવડોદરા જિલ્લામાં મહાનગરપાલિકા ઉપરાંત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓની પણ ચૂંટણી યોજાવાની છે. ત્યારે ગતરોજ સુધીમાં 293 ઉમેદવારીપત્રો ભરાયા છે, જેમાં મહાનગરપાલિકામાં 64, નગરપાલિકાઓમાં 55, જિલ્લા પંચાયતમાં 37 અને તાલુકા પંચાયતમાં 137 ઉમેદવારી પત્રો ભરાયા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:34 am

SOG એ ઓખામાં ગેરકાયદેસર માછીમારી પર કાર્યવાહી કરી:ઓનલાઈન ટોકન વિના બોટ જપ્ત, માછીમારની ધરપકડ

દેવભૂમિ દ્વારકાના ઓખા દરિયાઈ પટ્ટામાં SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા ગેરકાયદેસર માછીમારી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. SOG ટીમે ઓનલાઈન ટોકન અને રજીસ્ટ્રેશન કાગળો વિના દરિયો ખેડતી એક બોટ જપ્ત કરી છે. આ કાર્યવાહી દરમિયાન, માછીમાર લતીફ બંદરીની બોટને દામજીભાઈ જેટી પાસે રોકવામાં આવી હતી. તપાસમાં બોટ પાસે કોઈ જરૂરી કાગળો કે સરકાર માન્ય ઓનલાઈન ટોકન મળી આવ્યું ન હતું. ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ લતીફ બંદરીની ધરપકડ કરવામાં આવી છે. તંત્ર દ્વારા આ પ્રકારની બેદરકારી અને ગેરકાયદેસર માછીમારીને સમુદ્રી સુરક્ષા માટે જોખમી ગણવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા SOG દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી અન્ય ગેરકાયદેસર માછીમારી કરતા તત્વો માટે એક મોટી ચેતવણીરૂપ સંદેશ છે. તંત્ર દરિયાઈ સીમા પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ છે અને આવી પ્રવૃત્તિઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા દાખવશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:24 am

મોડાસા પાવન સિટીમાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા:નગરપાલિકા સામે સુવિધાઓના અભાવે મતદારોનો રોષ

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. મોડાસા નગરપાલિકા વિસ્તારમાં આવેલી પાવન સિટી કો-ઓપરેટિવ સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સોસાયટીમાં ચૂંટણી બહિષ્કાર અને કોઈપણ રાજકીય પક્ષે ચૂંટણી પ્રચાર માટે પાવન સિટીમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવવામાં આવ્યા છે. રહીશોનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા 100 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ તેની સામે મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નગરપાલિકા નિષ્ફળ રહી છે. આ બેનરો નગરપાલિકા પ્રત્યેના તેમના ઊંડા અસંતોષને દર્શાવે છે. સોસાયટીમાં 564 જેટલા ફ્લેટ હોવા છતાં, સ્ટ્રીટ લાઇટનો અભાવ, પાણીની સમસ્યા, શેરી સફાઈનો અભાવ અને રખડતા ઢોરની સમસ્યાઓ યથાવત છે. આ સમસ્યાઓથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રહીશોનું કહેવું છે કે તેઓ વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરે છે, પરંતુ તેમને માત્ર ખાતરીઓ જ મળે છે અને કોઈ નક્કર કામગીરી થતી નથી. વધુમાં, રહીશોનો આક્ષેપ છે કે વોર્ડના સભ્યો કે નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે અને ચૂંટણી પછી પાંચ વર્ષ સુધી ગાયબ થઈ જાય છે. આ પરિસ્થિતિથી કંટાળીને પાવન સિટી સોસાયટીના રહીશોએ આક્રમક વલણ અપનાવ્યું છે. સોસાયટીના રહીશોએ સુવિધા નહીં તો વોટ પણ નહીં ના સૂત્રોચ્ચાર સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. જો સમયસર તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે, તો આ રોષ મતપેટી દ્વારા વ્યક્ત થશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:22 am

બોટાદમાં સમરસતા યાત્રાનું સ્વાગત:વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાબાસાહેબ આંબેડકરજીની યાત્રાનું આયોજન

તારીખ 10 એપ્રિલ, 2026 ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ, બોટાદ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરજી સમરસતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનું પ્રસ્થાન ગોકુળીયાનાથ જગ્યાના મહંત દિનેશબાપુ, સ્વામી માધવસ્વરૂપજી, સ્વામી આત્માનંદ સરસ્વતીજી અને અન્ય ઉપસ્થિત મહેમાનોના હસ્તે ગોકુળીયાનાથની જગ્યાએથી કરવામાં આવ્યું હતું. આ યાત્રા ખુશ્બુ રેસિડેન્સી, ખસ રોડ, બોટાદ ખાતે નવનિર્માણ પામી રહેલા સમતા બુદ્ધ વિહાર ખાતે સવારે અગિયાર કલાકે પહોંચી હતી. ત્યાં ભગવાન બુદ્ધ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરજીને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સમતા બુદ્ધ વિહારના પ્રમુખ બોધિરાજ બૌદ્ધ દ્વારા ત્રિશરણ પંચશીલ પાઠ કરાવવામાં આવ્યો હતો. સમરસતા યાત્રાના પદાધિકારીઓને બોધિરાજ બૌદ્ધ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ તિરંગો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રામાં જોડાયેલા તમામ મહેમાનોને માનવતાના પ્રતીક સમા ભગવાન બુદ્ધના પંચશીલના પ્રતીક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બુદ્ધ વિહારમાં ચા-નાસ્તાની વ્યવસ્થા રાહુલભાઈ વાજા દ્વારા કરાઈ હતી. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ દેવજીભાઈ રાવત, રસેશભાઈ રાવલ, મોન્ટુભાઈ માળી, ભરતભાઈ પરમાર, રસિકભાઈ કણજરીયા, મહેશભાઈ કણજરીયા, ભુપતભાઈ ચૌહાણ, બિજલભાઈ પરમાર, વિશાલભાઈ ખખ્ખર, દેવજીભાઈ મ્યાત્રા સહિત સંગઠનના આગેવાનો જોડાયા હતા. તેમજ સામાજિક આગેવાનો અમૃતભાઈ કલીવડા, રાજુભાઈ વાઘેલા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:11 am

જોરાવરનગર શાળાના બાળકો મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાયા:શહેરી વિસ્તારોમાં ચિત્ર સ્પર્ધા અને રેલીનું આયોજન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં મતદાન જાગૃતિ વધારવા અને વધુમાં વધુ લોકો મતદાન કરે તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે, જોરાવરનગર પ્રાથમિક શાળા નંબર 7 દ્વારા ખાસ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં ચિત્ર સ્પર્ધા, 'ચૂનાવ પાઠશાળા' અને એક રેલીનો સમાવેશ થાય છે. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શહેરી વિસ્તારના મુખ્ય માર્ગો પર રેલી કાઢવામાં આવી હતી. આ રેલી દરમિયાન, શહેરીજનોને મતદાનના મહત્વ વિશે જાગૃત કરવા માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ અભિયાનને સફળ બનાવવા માટે ધોરણ 6 અને 7 ના આશરે 60 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના નારાયણભાઈ અને અન્ય સ્ટાફ સભ્યોએ આ કાર્યક્રમ માટે સઘન પ્રયાસો કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 9:32 am

અમદાવાદ વિમાન દુર્ઘટના: બ્રિટિશ એજન્સીએ હાથ ઊંચા કર્યા, કહ્યું- ભારતની તપાસમાં અમારી ભૂમિકા માત્ર 'એક્સપર્ટ' તરીકેની

Air India Plane Crash: એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 દુર્ઘટનાને એક વર્ષ વીતી જવા છતાં પીડિત પરિવારો હજુ પણ ન્યાય અને સાચા કારણોની શોધમાં ભટકી રહ્યા છે. ગત વર્ષે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ તુરંત જ દુર્ઘટનાગ્રસ્ત થયેલા આ વિમાન મામલે હવે બ્રિટિશ તપાસ એજન્સીએ પણ પોતાની મર્યાદાઓ સ્પષ્ટ કરી દીધી છે. બ્રિટિશ નાગરિકોના પરિવારોએ યુકેની એર એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ (AAIB) પાસે ટેકનિકલ રિવ્યુની માગ કરી હતી, પરંતુ એજન્સીએ પત્ર લખીને જણાવ્યું છે કે આ મામલે તેમની પાસે કોઈ ટેકનિકલ તપાસ કરવાની સત્તા નથી. બ્રિટિશ એજન્સીએ અસમર્થતા દર્શાવી બ્રિટિશ એજન્સીના પ્રિન્સિપાલ ઈન્સ્પેક્ટર ગેરેન્ટ હર્બર્ટે પરિવારોને પાઠવેલા પત્રમાં સ્પષ્ટતા કરી છે કે, આ તપાસનું નેતૃત્વ ભારતની તપાસ એજન્સી કરી રહી છે અને યુકે તેમાં માત્ર એક એક્સપર્ટ તરીકે સામેલ છે.

ગુજરાત સમાચાર 11 Apr 2026 9:31 am

દીયોદરથી ભાગેલા સગીર પ્રેમીપંખીડા ઝડપાયા:સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પરથી પોલીસે કબજો સંભાળ્યો

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પરથી રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન એક સગીર પ્રેમીપંખીડાને રેલવે પોલીસે ઝડપી પાડ્યા હતા. પૂછપરછમાં સામે આવ્યું કે તેઓ વાવ-થરાદ જિલ્લાના એક ગામમાંથી ઘરેથી ભાગીને આવ્યા હતા. સુરેન્દ્રનગર રેલવે પોલીસે દિયોદર પોલીસને જાણ કરતા, દિયોદર પોલીસે આવી બંનેનો કબજો સંભાળ્યો હતો. સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકના પીઆઈ એચ.કે. શ્રીમાળીની સૂચનાથી પીએસઆઈ સી.પી. બાવળીયા, દીગપાલસિંહ, રસિકભાઈ અને શક્તિસિંહ સહિતનો સ્ટાફ રેલવે સ્ટેશન પર રાત્રિ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન રેલવે સ્ટેશન પરથી એક સગીર અને એક સગીરા મળી આવ્યા હતા. પોલીસ મથકે લાવી બંનેની પૂછપરછ કરતા, તેઓએ જણાવ્યું કે તેઓ વાવ-થરાદ જિલ્લાના એક ગામમાંથી ઘરેથી ભાગીને નીકળી ગયા હતા. રેલવે પોલીસે દિયોદર પોલીસનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે સગીરાના પરિવારજનોએ આ અંગે પોક્સોની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આથી, દિયોદર પોલીસ સુરેન્દ્રનગર આવી હતી અને ભોગ બનનાર સગીરા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ આરોપીનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 9:25 am

નવસારીમાં GSTના દરોડા, કાસા ડે વિદા પ્રોજેક્ટ પર તપાસ:મોટાપાયે કરચોરીની આશંકા, બિલ્ડર લોબીમાં ખળભળાટ

નવસારીમાં જીએસટી વિભાગે ટેક્સ ચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરી છે. જાણીતા કાસા ડે વિદા (Casa De Vida) પ્રોજેક્ટ પર જીએસટી વિભાગ દ્વારા ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા છે. આ તપાસ શરૂ થતા શહેરની બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, નવસારીના કાસા ડે વિદા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વ્યવહારોમાં મોટાપાયે જીએસટીની ચોરી થઈ હોવાની ગુપ્ત બાતમીના આધારે વિભાગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જીએસટીના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પ્રોજેક્ટના સ્થળ અને તેની સાથે સંકળાયેલી કચેરીઓ પર પહોંચ્યો હતો. અધિકારીઓએ હિસાબી દસ્તાવેજો અને નાણાકીય લેવડ-દેવડની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આ દરોડામાં ટેક્સ ચોરી સંબંધિત પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. હાલમાં તપાસ પ્રાથમિક તબક્કે છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર દસ્તાવેજોની ચકાસણી બાદ ટેક્સ ચોરીના મોટા આંકડાઓ સામે આવવાની પ્રબળ શક્યતા છે. દરોડા દરમિયાન કેટલાંક વાંધાજનક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હોવાનું મનાય છે. આગામી દિવસોમાં તપાસના અંતે જીએસટી વિભાગ દ્વારા સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે. નવસારી જેવા શહેરમાં બિલ્ડર પ્રોજેક્ટ પર જીએસટીના દરોડા પડતા રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. અન્ય બિલ્ડરો અને વેપારીઓમાં પણ આ તપાસને કારણે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સરકાર દ્વારા ટેક્સ ચોરી રોકવા માટે ડિજિટલ ટ્રેકિંગ અને ડેટા એનાલિસિસના આધારે આવી કડક કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 8:30 am

વલસાડ સ્ટેશને ચાલુ ટ્રેનમાંથી પટકાયા મુસાફર:ચા લેવા ઉતર્યા બાદ ચઢતી વખતે અકસ્માત, સુરત રિફર કરાયા

વલસાડ રેલવે સ્ટેશન પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મુંબઈથી બિકાનેર જઈ રહેલા 52 વર્ષીય મુસાફર રાજેન્દ્ર કુમાર શેષમલજી જૈન ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે પટકાયા હતા. તેમને ગંભીર ઈજાઓ થતાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, મુંબઈના વસઈ વિસ્તારમાં રહેતા રાજેન્દ્ર કુમાર શેષમલજી જૈન પોતાના પરિવાર સાથે મુંબઈથી બિકાનેર દર્શન કરવા જઈ રહ્યા હતા. આ પ્રવાસ દરમિયાન ટ્રેન વલસાડ રેલવે સ્ટેશન પર રોકાઈ હતી. રાજેન્દ્રભાઈ પ્લેટફોર્મ પર ચા લેવા માટે નીચે ઉતર્યા હતા. રાજેન્દ્રભાઈ ચા લઈને પાછા ફરે તે પહેલા જ ટ્રેન ઉપડી ગઈ હતી. પોતાની ટ્રેન છૂટી જવાની ઉતાવળમાં તેમણે દોડીને ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસમાં તેમનો પગ લપસી જતાં તેઓ સીધા ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે આવી ગયા અને ટ્રેન નીચે પટકાયા. આ ઘટનાની જાણ થતા જ વલસાડ સ્ટેશન માસ્તર, GRP (રેલવે પોલીસ) અને RPFની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્ત રાજેન્દ્રભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વલસાડ સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, તેમની હાલત ગંભીર જણાતા અને વધુ સારવારની જરૂરિયાત હોવાથી પરિવારજનો તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા છે. રેલવે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 8:28 am

આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ:ભાજપે ભરૂચ ન.પા. અને સુરત મ.ન.પા.ની યાદી જાહેર કરી, જુઓ લિસ્ટ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે (11 એપ્રિલ) છેલ્લો દિવસ છે. છેલ્લા બે દિવસથી ધડાધડ ભાજપ પક્ષ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી રહ્યો છે. ગત મોડી સાંજ સુધી સસ્પેન્સ રખાયા બાદ ભાજપ દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર સહિતની મહાનગરપાલિકા અને પાલિકા-પંચાયતની યાદી જાહેર કરી દેવામાં આવી છે. આજે છેલ્લા દિવસે પણ બાકી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 કાપોદ્રાના ચાર ઉમેદવાર પણ જાહેર કરી દેવાયા છે. આ સાથે જ ભાજપે ભરૂચ, અંક્લેશ્વર, આમોદ, જંબુસર નગરપાલિકા, ભરૂચ જિલ્લા પંચાયત, જંબુસર તાલુકા પંચાયત, આમોદ તાલુકા પંચાયત, વાગરા તાલુકા પંચાયત, અંક્લેશ્વર તાલુકા પંચાયત, હાંસોટ તાલુકા પંચાયત, ભરૂચ તાલુકા પંચાયત, ઝઘડીયા તાલુકા પંચાયત, વાલીયા તાલુકા પંચાયત અને નેત્રંગ તાલુકા પંચાયતની પણ યાડી જાહેર કરી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 7:58 am

ઈઝરાયેલ ચાર દાયકાથી લેબનોનમાં હિઝબુલ્લાહને હરાવી શક્યું નથી

- 1982માં શિયા મુસ્લિમોના જૂથને ઈઝરાયેલે હરાવ્યા બાદ ઈરાનની મદદથી ત્યાં હિઝબુલ્લાહનું નેટવર્ક તૈયાર કરાયું જે આજેપણ ઈઝરાયેલની સેનાને હંફાવે છે - હિઝબુલ્લાહ વિશે સમજવા જેવી વાત એ છે કે, આ કોઈ સેના નથી. આ એક હથિયારબંધ જુથ છે. તેઓ શિયા સમુદાયનું એક હિઝબુલ્લાહ નામનું સામાજિક સંગઠન છે. તેઓ હોસ્પિટલો ચલાવે છે, સ્કૂલો ચલાવે છે અને શહેરની નગરપાલિકાઓમાં પણ દખલ દઈને લોકોના કામ કરાવે છે. લેબેનોનની સંસદમાં પણ હિઝબુલ્લાહના સાંસદો છે : વર્ષ 2000માં હિઝબુલ્લાહએ પોતાની પહેલી જીત મેળવી હતી.

ગુજરાત સમાચાર 11 Apr 2026 7:00 am

ટિકિટના નામે ઠગાઈ:ભાદ્રોડ તાલુકા પંચાયતની ટિકિટ અપાવવાનું વચન આપીને મહિલા સાથે ઠગાઇ આચરાઇ

સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં મહુવામાં આપના બે નેતાએ એક દલીત સમાજની મહિલાને ભાદ્રોડ તાલુકા પંચાયતની ટીકીટ ન મળતા આપના બે નેતા સહિત ચાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહુવાના ભાદ્રોડ ગામે રહેતા આશાબેન નિખીલભાઇ વાઘએ પોલીસ ફરિયાદમાં આમ આદમી પાર્ટીના બે નેતાઓ વિરૂદ્ધ બળાપો કાઢ્યો છે આશાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને મહુવા તાલુકા પ્રમુખ રાજેન્દ્રભાઇ બારૈયાએ તેમને આમ આદમી પાર્ટીમાં જોડ્યા હતા અને રાજેન્દ્ર બારૈયા અને દિલ્લી ખાતેના બ્રિજરાજસિંહ બંન્નેએ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં ભાદ્રોડ તાલુકા પંચાયતની ટીકીટ આપવાનું વચન આપેલ હતું. જે દરમિયાન બંન્ને નેતાઓએ ચુંટણીનો વીસ હજાર રૂપિયાનો આશાબેન પાસે ખર્ચ કરાવ્યો હતો અને ભાદ્રોડ ગામમાં ચુંટણી પ્રચાર પણ કરાવ્યો હતો. જે બાદ ગત તા. 3-4-2026 ના રોજ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની નામાવલી જાહેર કરવામાં આવી હતી. પરંતુ એ નામાવલીમાં આશાબેનના નામને બદલે ભાદ્રોડ ગામના અને તેના જ સમાજના મહિલા હંસાબેન અશોકભાઇ કાતરીયાને ટીકીટ માટે પસંદગી કરવામાં આવી હતી. જે મામલે આશાબેને નામાવલીમાં નામ નહીં આવવાથી રાજેન્દ્ર બારૈયાને વાત કરતા રાજેન્દ્ર બારૈયાએ આશાબેન તેમજ તેમના પતિ સાથે બોલાચાલી કરી, ઝઘડો કર્યો હતો અને જ્ઞાતીથી અપમાનીત કરાયા હતા. તેમજ રાજેન્દ્ર બારૈયા અને બ્રિજરાજસિંહે પાંચ લાખ રૂપિયા લઇ હંસાબેનને ટીકીટ આપ્યાનો આક્ષેપ કરાયો હતો જે મામલે આશાબેન વાઘએ મહુવા તાલુકા પ્રમુખ રાજેન્દ્ર બારૈયા (રહે. ડુંડાશ, મહુવા), બ્રિજરાજસિંહ, ટીકીટ મેળવનાર હંસાબેન કાતરીયા તેમના પતિ અશોક કાતરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અમરેલીની સભામાં આશાબેનને લઇ જવાયા હતાઆપના બન્ને નેતાએ દલીત સમાજના આશાબેનને ટીકીટની લોભામણી લાલચ આપી હતી. જેને લઇને વીસ હજાર રૂપિયાનો ખર્ચ પણ કરાવ્યો હતો અને ભાદ્રોડ ગામે ચુંટણી પ્રચાર કરાવ્યો હતો. તેમજ અમરેલી ખાતે યોજાયેલી વિજય વિશ્વાસ સભા ખાતે વીસેક માણસો પણ બોલેરો પીકઅપ બંધાવીને લઇ ગયા હતા પણ ટીકટ ન આપી, છેતરપિંડી આચરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 6:05 am

નિમણૂંક:ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા 72 તબીબોની નિમણૂંક કરાઇ

ગુજરાતના રાજ્યપાલના હુકમથી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ભાવનગર સહિત રાજ્યની વિવિધ મેડિકલ કોલેજમાં ગુજરાત જાહેર સેવા આયોગની સીધી ભરતીમાં પસંદગી થયેલા 72 તબીબોની કરી નિમણુંક કરી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આજે મેડિસિન વિભાગમાં 43 અને સર્જરી વિભાગમાં 29 તબીબોના ઓર્ડર જારી કર્યા હતા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ભાવનગર સરકારી મેડિકલ કોલેજ, એમ.પી.શાહ મેડિકલ કોલેજ જામનગર, મેડિકલ કોલેજ વડોદરા, પી.ડી.યુ. મેડિકલ કોલેજ રાજકોટ, બી.જે.મેડિકલ કોલેજ અમદાવાદ અને સરકારી મેડિકલ કોલેજ સુરતમાં મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1 તરીકે પે-મેટ્રિક્સ લેવલ-11 એન્ટ્રી પે રૂ.68,900ના પગાર ધોરણ સાથે બે વર્ષના અજમાયશી સમય માટે તદ્દન હંગામી ધોરણે નિમણુંક કરાઈ છે. મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1 તરીકે મેડિસિનના 43 અને સર્જરીના 29 તબીબોના થયેલા ઓર્ડરમાં સ્થાનિક ભાવનગર સરકારી મેડિકલ કોલેજના સર્જરી વિભાગમાં ડો.અભિજીત યાદવ, ડો.તેજસકુમાર પટેલ અને ડો.શૈવા પટેલના ઓર્ડર નીકળ્યા છે. તેમજ ભાવનગર સરકારી મેડિકલ કોલેજના મેડિસિન વિભાગમાં ડો.ભિષ્મ માંડલિયા અને ડો.હર્ષરાજસિંહ બારડના ઓર્ડર નીકળ્યા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 6:03 am

આંકડા લખાવી વેપાર કરનારાઓનો પર્દાફાશ:મહુવામાં વરલી મટકાનો જુગાર રમતા ત્રણ વૃદ્ધ સહિત ચાર ઝબ્બે

ભાવનગરના મહુવામાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા ત્રણ વૃદ્ધ સહિત ચાર શખ્સો રંગેહાથે ઝડપાઇ ગયા હતા. મહુવા પોલીસ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન બાતમી આધારે રેડ કરતા પોલીસને જુગાર રમતા આરોપીઓને પકડી લેવામાં સફળતા મળી હતી. જ્યારે ચારેય શખ્સો મુખ્ય સુત્રધારને ફોન કરી આંકડા લખાવી રૂપિયાનો વેપાર કરતા હોવાનો પર્દાફાશ થયો છે. મહુવાના વાસીતળાવ વિસ્તારમાં કેટલાક ઉમરલાયક વ્યક્તિઓ જાહેરમાં વરલી મટાકનો જુગાર રમતા હોવાની મહુવા પોલીસને બાતમી મળી હતી. જે આધારે પોલીસે દરોડા પાડતા જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા ત્રણ વૃદ્ધ સહિત ચાર શખ્સો રંગેહાથે ઝડપાઇ ગયા હતા. જે દરમિયાન દિપક મોહનભાઇ કળસરીયા (ઉ.વ.65, રહે. જનતા પ્લોટ નં. 1, મહુવા), આતુ લાખાભાઇ ધુંધળવા (ઉ.વ.75, જનતા પ્લોટ નં. 2), અરવિંદ બાબુભાઇ નિમાવત (ઉ.વ.64, રહે. પટેલ શેરી, ગામ વાઘનગર) શામજી અરવિંદભાઇ યાદવ (ઉ.વ.43, રહે. દેવળીયા, મહુવા)ની ધરપકડ કરી હતી . પોલીસે પકડેલા ચારેય આરોપીઓ મુખ્ય સુત્રધાર રવી અરવિંદભાઇ ગોહિલને ફોન કરી મોબાઇલમાં આંકડા લખાવી, રૂપિયાનો વેપાર કરતા હોવાનું પોલીસની તપાસમાં ખુલવા પામ્યું હતું.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 6:02 am

મારમાર્યો:યુવકે પ્રેમ લગ્ન કરી મિલકતનો ભાગ માંગતા પિતા અને ભાઈએ મારમાર્યો

સિહોર તાલુકાના નવાગામ (મોટા) ગામમાં પરિવારિક વિવાદ હિંસક સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી, જ્યાં એક યુવકે પોતાના પિતા અને ભાઈ સામે જ હુમલાની ફરિયાદ નોંધાવતા મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. બનાવનું મૂળ કારણ યુવકે પોતાની જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા જે બાદ મિલકતમાં ભાગ માગ્યો હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે પરિવારજનો વચ્ચે તણાવ ઊભો થયો હતો. આ અંગે સિહોર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ મુજબ, નવાગામ (મોટા)ના રહેવાસી પંકજભાઈ લાખાભાઈ પરમારે જણાવ્યું હતું કે તેઓ પોતાની પત્ની સાથે પરિવારથી અલગ રહેતા હતા. એક દિવસ તેઓ કામેથી ઘરે પરત ફર્યા ત્યારે પત્નીએ જણાવ્યું કે તેમના માતા ઘરે આવી ઘરવખરીની વસ્તુઓ પૂછ્યા વગર લઈ ગયા હતા. આ મુદ્દે પંકજભાઈએ પોતાની માતાને જે જોતું હોય તે લઈ જજો કહી દેતા મનદુઃખ પેદા થયું હતું. ત્યારબાદ તેમના પિતા લાખાભાઈ પરમાર અને ભાઈ જયપાલભાઈ પરમાર ઉશ્કેરાઈ જઈ ઘરની બહાર આવી મોટે મોટેથી પંકજભાઈ અને તેની પત્નીને ગાળો આપતા થયા, જેથી પંકજભાઈ તેઓને ગાળો આપવાની ના પાડી અને મિલકતમાં ભાગની માંગણી કરી હતી. તે વાતને લાખા પરમાર અને જયપાલ પરમારએ લોખંડના પાઈપ તથા ઢીકાપાટાથી પંકજભાઈ અને તેમની પત્ની પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત પંકજભાઈને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સિહોર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી તેઓએ પોતાના પિતા અને ભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 6:00 am

પક્ષપલટુઓને લોલીપોપ, BJPમાં ડખા ચાલુ:EX મેયરને ધક્કા મારી કમલમમાંથી કાઢ્યા; પીઢ નેતાએ ચાવી ભરી ને કાર્યકરોએ ઉપાડો લીધો, જુઓ VIDEO

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 6:00 am

ભાજપે જેને જિ.પં.ની ટિકિટ આપી એ ઇન્સ્ટા સ્ટાર કોણ છે?:10 લાખથી વધુ ફોલોઅર્સ અને મોડલિંગની મળી ચૂકી છે ઓફર, પોતાના જિમમાં પરસેવો પાડી રહે છે ફિટ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પાલિકા-પંચાયતની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની જાહેર કરી છે, ત્યારે વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પર ભાજપે સોશિયલ મીડિયા(ઈન્સ્ટાગ્રામ) સ્ટાર અંકિતા રોનક પરમારને ટિકિટ આપી છે. જેને લઈને પણ વિવાદ થયો છે, તેની સામે ભાજપના જ નયના પરમારે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે. આ વિવાદ વચ્ચે દિવ્ય ભાસ્કરે અંકિતા પરમાર સાથે વાત કરી અને તેમની જિંદગી અને રાજકીય સફર અંગે વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. 5 વર્ષ પહેલા યોજાયેલી વડોદરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં અંકિતા પરમાર સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જેમાં અઢી વર્ષ માટે પ્રમુખ પદની જવાબદારી સંભાળી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેમના એક મિલિયનથી વધુ ફોલોઅર છે. તેમણે રાયપુર કલિંગા યુનિવર્સિટીમાંથી બી.કોમ.સુધીનો અભ્યાસ કરેલો છે. જિલ્લા પંચાયતની ટિકિટ મળવા અંગે અંકિતા પરમારે જણાવ્યું કે, સૌપ્રથમ હું પાર્ટી, ધારાસભ્યો, સંગઠન પ્રમુખ અને જનતાનો આભાર વ્યક્ત કરું છું. તાલુકા પંચાયતમાં જવાબદારી મળ્યા બાદ હવે મને જિલ્લા પંચાયતની ટિકિટ મળી છે, ત્યારે પ્રયત્ન કરીશ કે તાલુકા પંચાયતમાં જે ફરજ બજાવી, તેના કરતાં બમણી તૈયારી કરીને વધુ વિકાસના કામો થાય તેવા પ્રયાસ કરીશ. દાવેદાર નયના પરમારના પતિએ ટિકિટ આપવાના કરેલા વિરોધ અંગે કહે છે કે, નયનાબેન મારા બેન સમાન છે.એ પણ ભાજપના સંનિષ્ઠ કાર્યકર છે. મારો પૂરો પ્રયાસ રહેશે કે, બેનને મનાવી લઈશ અને અમે સાથે મળીને વિકાસના કામો કરીશું. લોકશાહીનો જ્યારે પર્વ ચાલી રહ્યો હોય, ત્યારે પાર્ટી મેન્ડેટ આપતી હોય છે, ચૂંટણી લડવાની બધાની ઈચ્છા હોય છે, પણ પાર્ટી એકને જ મેન્ડેટ આપી શકે છે. એ તક મને મળી છે. નયનાબેન સર્વશ્રેષ્ઠ છે. હું એમ માનું છું કે, મને ટિકિટ મળી એટલે એમ નથી કે હું જ સર્વશ્રેષ્ઠ છું. હું એમને કાયમ સાથે લઈને જ ચાલવાની છું. રીલ્સ બનાવવા અંગે પાર્ટીમાંથી કોઈ ઠપકો કે સૂચન મળ્યું છે કે, કેમ? તે અંગે કહે છે, સ્વાભાવિક છે કે, હું પહેલા રીલ બનાવતી. જ્યારથી પાર્ટીમાં જોડાઈ છું, ત્યારથી પાર્ટીમાં જ કામ કરું છું અને પાર્ટીની રીલ્સ અપલોડ કરું છું અને એ મારો પર્સનલ વિષય છે. ‘પહેલાં મોડલિંગ ઓફર મળી ચૂકી છે’ફિલ્મ કે મોડલિંગની ઓફર આવવા અંગે કહ્યું કે, હાલ પૂરતી કોઈ ઓફર નથી, અગાઉ ઓફર મળી હતી, પણ હું એ ઓફરને અસ્વીકાર્ય કરું છું. મારું સંપૂર્ણ ધ્યાન પોલિટિક્સ પર છે અને લોકોની સેવા કરવા પર છે. PM મોદીને મળવાની ઇચ્છા વ્યક્ત કરતા કહ્યું કે, ક્યારેક મળવાની તક મળે. મોદીજી મળે તો મહિલાઓ અને દીકરીઓ માટે એમણે જે વિચાર્યું છે. મહિલાઓ સ્વતંત્ર થઈ છે. તેના માટે આભાર વ્યક્ત કરીશ. ‘આપણે કઈ વાતો ધ્યાનમાં લેવી એ આપણા ઉપર છે’ટ્રોલિંગ અંગે કહે છે, સોશિયલ મીડિયા પર નેગેટીવ અને પોઝિટિવ વાતો થાય છે. આપણે કઈ વાતો ધ્યાનમાં લેવી એ આપણા ઉપર છે. હું હંમેશા સોશિયલ મીડિયા પરથી સારી વાતો જ લઉં છું. ‘મને સાસરીમાંથી ખૂબ સપોર્ટ મળ્યો છે’પરિવાર અને એજ્યુકેશન અંગે કહ્યું-હું પોર ગામની વતની છું અને મારો જન્મ વડોદરામાં થયો છે અને તે મારું પિયર છે. મને સાસરીમાંથી ખૂબ સપોર્ટ મળ્યો છે.ત્યારબાદ હું પણ ભાજપમાં જોડાઈ. મેં ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. ‘સંઘર્ષ વિના ક્યારેય સફળતા મળતી નથી’સંઘર્ષ અંગે કહ્યું કે, સંઘર્ષ વિના ક્યારેય સફળતા મળતી નથી. કોઈપણ વસ્તુ મેળવવા માટે કંઈક ગુમાવવું પડતું હોય છે. મારો જન્મ વડોદરામાં થયો અને લગ્ન પછી હું પોર ગામમાં રહેવા આવી. સાસરીમાં હું દીકરી તરીકે રહી છું. પોતાના ડ્રીમ અંગે કહ્યું કે, મારું ડ્રીમ વધુને વધુ મહિલાઓને ઇન્ડિપેડેન્ટ બનાવવાનું છે. ભારત આમ તો પુરુષ પ્રધાન દેશ છે. પરંતુ મારી એવી ઈચ્છા છે કે, ભારત મહિલા પ્રધાન દેશ તરીકે ઓળખાય.'હું કરોડો મહિલાઓની ઈમેજ બનાવવા માંગુ છું'સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કે ભાજપ નેતામાંથી કઈ ઓળખ વધુ પસંદ છે, તેના અંગે કહ્યું કે, મારી ઈમેજ બનાવવાની સાથે સાથે હું કરોડો મહિલાઓની ઈમેજ બનાવવા માંગુ છું. કોઈ એવું કામ નથી કે જે મહિલા કે દીકરી ન કરી શકે. હાલ હું પ્રજાલક્ષી કામો કરવા પર ફોકસ કરી રહી છું, પાર્ટી આગળ જે જવાબદારી આપશે તે હું નિભાવતી રહીશ.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:59 am

ભરતી:GSSSBમાં 90 સ્ટાફ નર્સની ભરતી કરવાનો નિર્ણય

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 90 સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત કરાઈ છે. આ માટે 13 એપ્રિલ સુધીમાં અરજી કરી શકાશે. લાયકાત ધરાવતા ઉમેદવારો https;/ojas.gujarat. gov.in પર જઈ અરજી કરી શકાશે. મંડળની વેબસાઈટ www.gsssb.guj.gov.in પર આ પોસ્ટની ભરતીની વિગતો મૂકવામાં આવી છે. જેના માટે નિર્ધારિત કરેલી ડિપ્લોમા ઈન આયુર્વેદિક નર્સીંગની શૈક્ષણિક લાયકાત આવશ્યક છે. આ ઉપરાંત કમ્પ્યુટર નોલેજની જાણકારી પણ આવશ્યક છે. આ ઉપરાંત ગુજરાતી, હિન્દીની ભાષાની જાણકારી પણ જરુરી છે. 18થી 45 વર્ષની વયજૂથના ઉમેદવારો અરજી કરી શકશે. જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા એપ્લિકેશન ફી રાખવામાં આવી છે, જ્યારે રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને માટે 400 રૂપિયા એપ્લિકેશન ફી નિર્ધારિત કરાઈ છે. સ્ટાફ નર્સ (આયુર્વેદ)ની પોસ્ટ માટે પાંચ વર્ષ માટે 40,800નો ફિક્સ પગાર નક્કી કરાયો છે. 90 સ્ટાફ નર્સની ભરતી માટે ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે .

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:57 am

GSEB:ગુજકેટમાં રસાયણ વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓને 2 માર્ક અગાઉથી મળી ગયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 29 માર્ચના રોજ લેવાયેલી ગુજકેટની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે જે મુજબ એકમાત્ર રસાયણ વિજ્ઞાનમાં જવાબમાં સુધારો થતા પ્રોવિઝનલ આન્સર કીમાં થયેલા ફેરફાર સાથે માત્ર રસાયણ વિજ્ઞાનની ફાઈનલ આન્સર કી મુજબ હવે પરીક્ષાર્થીઓને બે માર્ક અગાઉથી મળી ગયા છે અને એક પ્રશ્નમાં બે પૈકી એક વિકલ્પ સાચો ગણાશે. પ્રોવિઝનલ આન્સર કી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની જાહેર કરવામાં આવી હતી અને 8 એપ્રિલ સુધી પ્રોવિઝનલ આન્સર કી અંગેની રજૂઆતો ઈ-મેલ મારફત સ્વીકારવામાં આવી હતી. ત્યારબાદ વિષયના નિષ્ણાતો દ્વારા તેની ચકાસણી કરાયા બાદ એક માત્ર રસાયણ વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર સેટમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં એક જ પ્રશ્નના જવાબમાં સુધારો થતા આ ફેરફાર કરાયો છે અને હવે રસાયણ વિજ્ઞાનમાં ફાઇનલ આન્સર કી મુજબ બે પ્રશ્નોમાં એક એક ગુણ તમામ વિદ્યાર્થીઓને મળી ગયો છે જ્યારે એક પ્રશ્નમાં બે વિકલ્પ છે તે પૈકી કોઈપણ એક વિકલ્પ સાચો ગણાશે. ગણિત, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન ની આન્સર કીમાં કોઈ પણ ફેરફાર થતો નથી તેથી તે વિષયોની પ્રોવિઝનલ આન્સર કી જ ફાઈનલ આન્સર કી રહેશે તેની ગુજકેટના વિદ્યાર્થીઓને નોંધ લેવા ભાવનગરના ડીઇઓ હિતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:57 am

પરિણામ પત્રક આપવાની નીતિમાં ફેરફાર:આ વર્ષે ગુજરાતભરમાં ધોરણ 1 અને 2માં વાર્ષિક પરિણામપત્રકને બદલે છાત્રોને પ્રોગ્રેસ કાર્ડ અપાશે

સમગ્ર ગુજરાતના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં આ વર્ષે ધોરણ 1 થી 8 માં પરિણામ પત્રક આપવાની નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ બાલવાટિકા તેમજ ધોરણ એક બે માં પરિણામ પત્રકને બદલે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ ફાઉન્ડેશન સ્ટેજ શાળા કક્ષાએ અપાશે. જ્યારે ધોરણ ત્રણથી આઠમાં પરિણામ પત્રક અપાશે. પણ તે શાળા કક્ષાને બદલે શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય કક્ષાએ ઓનલાઈન તૈયાર કરીને અપાશે અને જે તે શાળા તેને ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને પરિણામ પત્રક તરીકે વિતરિત કરશે. આ વર્ષે ભાવનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ 3થી 8માં શાળા મુજબ પરિણામ પત્ર તૈયાર કરીને આપવાને બદલે અત્યારે જ્યારે વાર્ષિક પરીક્ષા શરૂ છે ત્યારે જ જેમ જેમ જે તે વિષયના પેપર પૂર્ણ થતા જાય તે મુજબ તે વિષયના વિદ્યાર્થીઓના ઓનલાઇન માર્ક અપલોડ કરી દેવામાં આવે છે અને શિક્ષણ વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીઓના પરિણામ પત્ર રાજ્ય કક્ષાએ જાહેર કરવામાં આવશે. બાદમાં જે તે શાળાઓ પોતાના વિદ્યાર્થીઓના પરિણામ પત્ર ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને આપશે તેવું આયોજન છે. અત્યારે ધારો કે ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર સમાપ્ત થયું તો તેની ચકાસણી કરીને માર્ક ઓનલાઇન મૂકી દેવામાં આવે છે જેથી રાજ્યકક્ષાએ પરિણામ તૈયાર થતું થાય અને આ તમામ વિષયનું પરિણામ એપ્રિલ માસના અંત સુધીમાં આપી દેવાનું આયોજન ઘડવામાં આવ્યું છે. ચાલુ શૈક્ષણિક વર્ષથી બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 2માં પોલિસ્ટિક કોંગ્રેસ કાર્ડ ફાઉન્ડેશનલ સ્ટેજનો અમલ કરવાનો નિર્ણય પ્રાથમિક નિયામક શિક્ષણની કચેરી અને જીસીઈઆરટી દ્વારા કરવામાં આવ્યો છે. નથી સમગ્ર શિક્ષા મારફત તમામ શાળાના બાળક દીઠ પોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ પહોંચાડવામાં આવેલ છે અને આ બાબતે ઓન એર તાલીમ પણ આપવામાં આવી છે હવે બાળકોને 2025-26 માટે વાર્ષિક પરીક્ષાના પરિણામ પત્રને બદલે ધોરણ 1 અને ધોરણ 2 તેમજ બાલવાટિકામાં હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ ફાઉન્ડેશન સ્ટેજ આપવામાં આવશે. નોલેજ : શું છે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ ?રાષ્ટ્રીય કક્ષાએ 360 ડિગ્રી મૂલ્યાંકનને અમલમાં મૂકવા માટે ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બનાવાયેલ એક સંસ્થા PARAKH દ્વારા નવું મૂલ્યાંકન માળખું અને સર્વાંગી પ્રગતિ પત્રક (HPC) તૈયાર કરાયા બાદ હવે સમિતિએ ગુજરાત માટેનું સર્વાંગી વિકાસ પત્રક તૈયાર કર્યું છે. આ કાર્ડમાં વિદ્યાર્થીઓના બોધાત્મક, ભાવનાત્મક અને મનોગામિક વિકાસની વ્યાપક માહિતી નોંધાશે. આ મૂલ્યાંકનમાં શિક્ષક, સહપાઠી, વાલી અને વિદ્યાર્થી પોતે સામેલ થશે, જેનાથી વિદ્યાર્થીની શક્તિઓ અને સુધારણાના ક્ષેત્રોની સ્પષ્ટ સમજણ મળશે. આ પ્રક્રિયા ગોખણપટ્ટીને બદલે વિચારશીલતા, સર્જનાત્મકતા અને સહકાર જેવા કૌશલ્યોને પ્રોત્સાહન આપશે. આ અભિગમથી બાળકોમાં આત્મવિશ્વાસ, જવાબદારી અને સતત પ્રગતિની ભાવના વિકસશે, જે ભવિષ્ય માટે મજબૂત પાયો પુરો પાડશે. આ પરિવર્તનથી શિક્ષણ પ્રણાલી વધુ સમાવેશી અને વ્યાપક બનશે, જે વિદ્યાર્થીઓને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:56 am

ચૂંટણીને લઇને ભાવનગર LCB એક્શન મોડમાં:24 કલાકમાં 2700 કિ.મી.નું અંતર કાપી ફરાર થયેલા 4 આરોપીને દબોચી લેવાયા

સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીને લઇને ભાવનગર પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા માટે ગાળિયો કસ્યો છે. ભાવનગર એલ.સી.બી.એ છેલ્લા ચોવીસ કલાકમાં 2700 કિ.મી. જેટલું અંતર કાપીને સત્તરથી વધુ વર્ષથી ફરાર થયેલા જુદા જુદા ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીને ભાવનગર પોલીસે દબોચી લીધા છે. ભાવનગર પોલીસના ટેકનીકલ અને હ્યુમન સોર્સીસની મદદથી આરોપી સુધી પહોંચવા સફળતા મળી છે. ભાવનગરના જુદા જુદા પોલીસ મથકમાં પ્રોહીબીશન, સગીરાનું અપહરણ તેમજ સાયબર ફ્રોડ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા અને અનેક વર્ષોથી ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે થઇને ભાવનગર પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેને લઇને ભાવનગર એલ.સી.બી. પોલીસે ફરાર થઇ ગયેલા ચાર આરોપીઓને પકડવા માટે જુદી જુદી ચાર ટીમો બનાવી વીસેક જેટલા પોલીસ કર્મચારીઓ મહારાષ્ટ્રના નાસીક, મધ્યપ્રદેશ, ચીખલી અને ગઢડા ખાતે જઇને ચાર આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે. જેમાં સાયબર ફ્રોડના ગુનામાં ફરાર થયેલ હેમલ કાંતિલાલ ભટ્ટ (રહે. ચમારડી, તા. વલ્લભીપુર, જી. ભાવનગર) ને મહારાષ્ટ્રના નાસીક ખાતેથી તેમજ પ્રોહીબીશનના ગુનામાં સત્તર વર્ષથી ફરાર નાનાજી ઉર્ફે તાનાજી ભદુરભાઇ રોઝ (રહે. રૂપાખેડા ગામ, માળી ફળિયું, કંજવાણી આઉટ પોસ્ટ, રાણપુર)ને મધ્યપ્રેદશ ખાતેથી અને દુદારામ ઉર્ફે મહાવિર મારવાડી (રહે.રાધેકૃષ્ણ મંદિર પાસે, તા.વાલોદ, જી.તાપી)ને નવસારીના ચીખલી ખાતેથી ઝડપી લીધો હતો. તદ્દઉપરાંત સગીરાના અપહરણ કેસમાં વિક્રમભાઇ સોમાભાઇ નાયક (રહે.અભરામ પટેલના મુવાડા તા.જી.ગોધરા) ને ઝડપી લીધા હતા. વેશપલ્ટો અને ફિલ્મી ઢબે પોલીસે આરોપીને ઝડપી લીધાભાવનગર પોલીસે મધ્યપ્રેદશના આરોપીને પકડી પાડવા માટે થઇને વેશપલ્ટો ધારણ કર્યો હતો જેમાં પોલીસે સાયકલ ચલાવી મજુરનો વેશ ધારણ કર્યો હતો તેમજ મહારાષ્ટ્રના નાસીક ખાતેથી આરોપીને પકડવા માટે થઇને ફિલ્મી સ્ટાઇલે ધરપકડ કરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:55 am

પાર્કિન્સન દિવસ વિશેષ:પાર્કિન્સનના દર્દીઓ છેલ્લા બે વર્ષમાં 8 %વધ્યા

ભારત સહિત વિશ્વમાં દર વર્ષે તા.11મી એપ્રિલે વિશ્વ પાર્કિન્સન દિવસ ઉજવવામાં આવે છે. જેમણે સૌ પ્રથમ વખત પાર્કિન્સન રોગ વિશે વિશ્વને માહિતગાર કર્યા તેવા ફ્રાંસના ન્યૂરોલોજીસ્ટ ડો.જેમ્સ પાર્કિન્સના જન્મ દિવસની યાદમાં મનાવવામાં આવે છે. મેડિકલ ક્ષેત્રે પાર્કિન્સન એક ન્યુરોલોજિકલ બીમારી છે ત્યારે આ વર્ષે સાથે મળીને આપણે કરી શકીએ છીએની થીમ સાથે કાલે તા.11મી એપ્રિલે વિશ્વ પાર્કિન્સન દિવસની ઉજવણીમાં લોકોમાં જાગૃતિ વધે તેવા કાર્યક્રમો યોજાતા હોય છે. સ્થાનિક ભાવનગર સર ટી. હોસ્પિટલના મેડિસિન વિભાગની ઓ.પી.ડી.માં સરેરાશ આંક મુજબ વર્ષે 77 અને મહિને 6 નવા કેસ સાથે પાર્કિન્સનના દર્દીઓ છેલ્લા બે વર્ષમાં 8 ટકાનો વધારો થયો છે. ભાવનગર જિલ્લાની સૌથી મોટી સરકારી સર ટી. હોસ્પિટલમાં મેડિસિન વિભાગની ઓ.પી.ડી.માં પાર્કિન્સન સહિતના વિવિધ પ્રકારના રોગોથી પીડિત દર્દીઓની સારવાર કરવામાં આવે છે. સર ટી.ની મેડિસિન વિભાગની ઓ.પી.ડી.માં વિવિધ સમસ્યાથી પીડિત વર્ષ-2024માં 108607 દર્દીઓ અને વર્ષ-2025માં 139383 દર્દીઓની કરાયેલી સારવારમાં વર્ષ-2024માં 77 અને વર્ષ-2025માં 81 પાર્કિન્સન પીડિત દર્દીઓ આવ્યા હતા. સર ટી. હોસ્પિટલમાં વર્ષ-2023થી 2025 સુધીના ત્રણ વર્ષના સમયગાળામાં દર પાર્કિન્સનના દર્દીઓમાં ટકાવારી મુજબ દર વર્ષે 2.6થી 5.2 ટકાનો વધારો થયો છે ત્યારે ભાવનગર જિલ્લામાં તબીબી ક્ષેત્રે જટિલ બીમારી કહી શકાય તેવા પાર્કિન્સનના વધતા દર્દીઓ ચિંતાજનક બાબત છે. સર ટી. હોસ્પિટલમાં પાર્કિન્સનના દર્દીઓ (સ્ત્રોત : , સર ટી. હોસ્પિટલ) પાર્કિન્સન મટી ન શકે માત્ર કંટ્રોલમાં લાવી શકાયસર ટી. હોસ્પિટલના મેડિસિન વિભાગની ઓ.પી.ડી.માં વિવિધ પ્રકારના રોગોથી પીડિત દર્દીઓની સારવાર કરવામાં આવે છે. જેમાં ન્યુરોલોજિકલ બીમારીમાં ગણાતા પાર્કિન્સનના દર્દીઓ પણ મળી આવતા હોય છે. મેડિસિન વિભાગની ઓ.પી.ડી.ના છેલ્લા ત્રણ વર્ષના આંકડા અનુસાર પાર્કિન્સન પીડિત 233 દર્દીઓ મળ્યા છે ત્યારે સારવારથી પાર્કિન્સન મટી ન શકે માત્ર કંટ્રોલમાં લાવી શકાય છે. — ડો.સુનિલ પંજવાણી, એચ.ઓ.ડી., મેડિસિન વિભાગ, સર ટી. હોસ્પિટલ ભાવનગર મગજમાં ચેતાતંતુઓ ક્ષતિગ્રસ્ત બને તો પાર્કિન્સન થાયમગજના ચોક્કસ પ્રકારના ચેતાતંતુઓમાં ક્ષતિને કારણે શરીરમાં ધ્રુજારી કે કંપન કરાવતા રોગનો ભારતીય આયુર્વેદમાં 'કંપવાત' તરીકે ઉલ્લેખ જોવા મળે છે. માનવ શરીરના મધ્ય મગજના 'સબસ્ટૅન્શિયા નાઇગ્રા' વિસ્તારમાં 'પાર્સ કૉમ્પેક્ટા' ચેતાતંતુઓ ક્ષતિગ્રસ્ત થઈને નાશ પામવા લાગે ત્યારે આ કોષો દ્વારા નિર્મિત 'ડોપામીન' નામના જૈવરાસાયણનું ઉત્પાદન ઘટી જાય છે. જ્યારે તેનું ઉત્પાદન 80 ટકા જેટલું ઘટી જાય, ત્યારે પાર્કિન્સન્સનાં લક્ષણ દેખા દે છે. જેથી વ્યક્તિના શરીરનું હલનચલન ઘટી જાય છે અને હાથપગમાં ધ્રુજારી કે કંપન તથા સ્નાયુઓમાં કઠોરતા વગેરે લક્ષણ જોવા મળે છે. આ ચિહ્નોની શરૂઆત શરીરની એકબાજુએથી થાય છે અને ધીરે-ધીરે રોગ બંને તરફ પ્રસરે છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:54 am

સંકટ ચતુર્થીની ઉજવણી:નવા વર્ષની પ્રથમ સંકટ ચતુર્થીએ ભકતોએ સંકટોના નાશ કરવા બાપાને શિશ નમાવ્યા

શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલ પાસે આવેલ અષ્ટ વિનાયક સિધ્ધિ વિનાયક મંદિરે વર્ષની પ્રથમ અને ચૈત્ર માસની સંકટ ચતુર્થીની ચતુર્થીની ઉજવણી હજારો ભકતોના ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી અને સંકટ હરનારા દાદા પાસે આવીને શિશ નમાવ્યા. ભાવનગર જિલ્લામાં એક માત્ર કાળીયાબીડમાં ગણપતિ મંદિર અષ્ટવિનાયક સિધ્ધિ વિનાયક મંદિર આવેલુ છે. જીવનના તમામ સંકટોના નાશ કરવા માટે અષ્ટ વિનાયક સિધ્ધિ વિનાયક મંદિરે ગણપતી દાદાને લાડુ ધરવામાં આવે છે, પુષ્પના હાર ચડાવવા, બહેનોનો સત્સંગ અને સમુહ ગણપતિ પાઠ કરવા. 108 દિવાની દિપ માળા સાથે ઉત્સવ આરતી કરીને ઉજવણી કરવામાં આવે છે. સંકટ ચર્તુથીના દિવસે જે લોકોને જીવનમાં સંકટ આવતા હોય તે લોકોએ મંદિરએ આવીને મુશક દેવના કાનમાં મનોકામના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. હજારો ભાવિકો ભકિત સાથે વ્રત રાખી પૂજન અર્ચન કરી માનતા રાખી હતી. શ્રધ્ધા સાથે ભાવનગર સહિત આજુ-બાજુના શહેરમાંથી પણ ભકતોએ આવીને મનોકામના કરી હતી. હજારો ભાવિકો ભકિત સાથે વ્રત રાખી પૂજન અર્ચન કર્યુ હતુ. વિધ્ન દૂર કરવા વ્રત કરાયા> બાળકોએ અભ્યાસ સિધ્ધિ માટે ચોથ રાખી.> સૌભાગ્યવતી સ્ત્રીઓએ પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના સાથે વ્રત કર્યુ હતુ.> ધંધામાં રૂકાવટ અને વિધ્નને દૂર કરવા ભાઇઓએ પુજા પાઠ કર્યા> આ દિવસે લોકો સંકટ ચોથમાં. આખો દિવસ ફળ, જયુસ અને લીકવીડ પર રહ્યા બાદ રાત્રે ચંદ્રના દર્શન કરી ગણપતિ દાદાની ગોળ, ભાખરીનો લાડુ ધરી લાડુની પ્રસાદી લઇ ચોથની પૂર્ણાહુતી કરી આ ચોથ કરવાથી સંકટોનો નાશ થાય છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:51 am

ઉમદા સંકલ્પ:પૂજ્ય વ્રજરાજકુમારની પ્રેરણાથી થેલેસેમિયા મુક્ત ભારત માટે VYOનો મહાસેવાયજ્ઞ

વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) દ્વારા સમગ્ર વિશ્વમાં એક કરોડ નિ:શુલ્ક થેલેસેમિયા ટેસ્ટ કરવાના સંકલ્પ સાથે સેવાનો મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ભાવનગરમાં એક જ દિવસમાં 500 થી વધુ વિદ્યાર્થીઓનાં ટેસ્ટ કરી એક નવો કીર્તિમાન સ્થાપિત કરવામાં આવશે. ખાનગી લેબમાં જે ટેસ્ટનો ખર્ચ 500 થી 900 થાય છે, તે ટેસ્ટ VYO દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી તદ્દન મફત કરવામાં આવશે. આ અભિયાનમાં અત્યાધુનિક HPLC ટેક્નોલોજી દ્વારા સચોટ સ્ક્રીનિંગ કરવામાં આવશે. ભારતમાં દર વર્ષે 10000 થી 15000 બાળકો થેલેસેમિયા મેજર સાથે જન્મે છે. આ આનુવંશિક બીમારીને અટકાવવા માટે યુવાધનમાં જાગૃતિ લાવવી અનિવાર્ય છે. તા.13-4નાં મહાપ્રભુ વલ્લભાચાર્યજીના પ્રાગટય દિવસે ભાવનગર જિલ્લાનાં ભાવનગર, મહુવા, પાલીતાણા, સિહોરની કોલેજ ખાતે 500થી ટેસ્ટ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જેમાં ભાવનગરમાં આનંદ વાટીકા ભગીની મંડળ ખાતે ઈન્ડીયન રેડક્રોસનાં સહયોગથી સવારે 10 થી 1 દરમિયાન ટેસ્ટ કરવામાં આવશે તો શહેરનાં લોકો બહોળી સંખ્યામાં આ સેવાનો લાભ લે તેવો અનુરોધ કરવામાં આવે છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી આ સેવાનો મહાયજ્ઞ એક શુભ દિવસે શરૂ થવા જઈ રહ્યો છે. શ્રી વલ્લભકુળભૂષણ વૈશ્વનવાચાર્ય પૂજ્ય પાદ ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી VYO સંસ્થા 10 વર્ષોથી 15 દેશો અને ભારતના 46 શહેરોમાં માનવતાલક્ષી કાર્યો કરી રહી છે. સંસ્થા દ્વારા અગાઉ શિક્ષણ સહાય, આરોગ્ય સહાય, કોવિડ કેર ડ્રાઇવ જેવા અનેક જનકલ્યાણના કાર્યો કરવામાં આવ્યા છે. VYOના મેનેજિંગ ટ્રસ્ટી અશોક શાહ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, થેલેસેમિયા મુક્ત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા માટે કોલેજો શાળાના વિદ્યાર્થીઓનો સહકાર મહત્વનો છે. ભાવનગરનાં યુવાનો આ સેવાયજ્ઞમાં જોડાઈને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને તેવી સંસ્થા દ્વારા અપીલ કરી છે. ભારતના 46 શહેરોમાં કરાઇ છે માનવતાલક્ષી કાર્યોVYO સંસ્થા 15 વર્ષોથી 15 દેશો અને ભારતના 46 શહેરોમાં માનવતાલક્ષી કાર્યો કરી રહી છે. સંસ્થા દ્વારા અગાઉ શિક્ષણ સહાય, આરોગ્ય સહાય અને કોવિડ કેર ડ્રાઇવ જેવા અનેક જનકલ્યાણના કાર્યો કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:49 am

'કાર્યકર દિન'ની ભવ્ય ઉજવણી કરાઈ:આદર્શ કાર્યકરના ગુણો ધર્મ, નિયમ, ઉપાસના આજ્ઞા અને સત્સંગની દૃઢતા છે : મહંત સ્વામી

ભાવનગર મંદિર દ્વિદશાબ્દિ મહોત્સવ અને અક્ષર બ્રહ્મના ઓવારણાં શ્રેણી હેઠળ ચાલી રહેલી કથા શૃંખલા માં આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રાતઃ પૂજા દરમિયાન વિદ્વાન વક્તા પૂજ્ય આદર્શ જીવન સ્વામીએ કથા દરમિયાન કહ્યું હતું કે કોઈપણ સંસ્થાનો કાર્યકર એ સંસ્થાનો મજબૂત પાયો છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ આદર્શ કાર્યકર કેવો હોવો જોઈએ તેની પ્રેરણા આપતા કહ્યું હતું આદર્શ કાર્યકર ના ગુણો ધર્મ, નિયમ, આજ્ઞા,ઉપાસના અને સત્સંગ ની દૃઢતા વિશે વિસ્તૃતમાં જણાવ્યું હતું. આજે કાર્યકરદિનની નિમિત્તે સવારની પ્રાત:પૂજામાં બાળકો દ્વારા મુખપાઠ અને સાંજની વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ધરાવતી સભામાં ભાવનગરની ભાવિક જનતાની હાજરી જોવા મળી હતી. સાંજની સભામાં સંસ્થાના સદગુરુ વર્ય સંત પૂજ્ય વિવેકસાગર સ્વામી અને અક્ષરવાડીના વરિષ્ઠ સંત પૂજ્ય સોમ પ્રકાશ સ્વામીની કથા વાર્તા દરમિયાન ભાવનગરના સત્સંગ મંડળ ના વિકાસની ગાથા, કાર્યકરોની સેવા ભક્તિ સમર્પણ નિષ્ઠા વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક જણાવ્યું હતું હજુ પણ આગામી બે દિવસ સુધી મહંત સ્વામી મહારાજની પ્રાતઃ પૂજા અને સાંજની સભા નો લાભ ભાવનગરની ભાવિક જનતાને મળી રહેવાનો છે . તા.11.4.26 ના રોજ બાળ દીનની ઉજવણી થશેઅને તારીખ 12 એપ્રિલના રવિવારના રોજ ભાવનગર મંદિરને 20 વર્ષ પૂર્ણ થતા હોય ભાવનગર મંદિર દ્વિ દશાબ્દી મહોત્સવ પણ ઉજવાશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:47 am

રૂ.50,000 નહીં આપતા મામલો બિચક્યો:નિવૃત્તિના પૈસાની વહેંચણીમાં ઝઘડો, વૃદ્ધાને કુટુંબીઓએ માર્યા

શહેરના ભાંગના કારખાના પાસે આવેલ વાલ્મિકીવાસ માં રહેતા અને મહાનગરપાલિક મા સફાઈ કર્મચારી તરીકે તાજેતરમાં નિવૃત્ત થયેલ મહિલા કર્મચારી હંસાબેન લક્ષ્મણભાઈ સરધારા એ પોતાની નિવૃત્તિના આવેલા પૈસા માંથી તેની ચાર દીકરીઓે તથા તેના દીકરાની દીકરી સહિત પાંચેયને રૂપિયા પચીસ પચીસ હજાર આપવાનું નક્કી કરેલ. પરંતુ તેના દીકરાની દીકરી કિંજલ ને આ પૈસા ઓછા પડતા તેણે ₹25, 000 નહીં પરંતુ પચાસ હજાર રૂપિયાની માગણી કરેલ. જે બાબતે હંસાબેન એ ના પાડતા હંસાબેન ના પુત્રવધુ ભાવનાબેન તથા તેના પૌત્ર સોહિલ રજનીભાઈ સરધારા અને તેના પત્ની આનંદી સોહિલભાઈ સરધારા ત્રણે એ તેણીની સાથે ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈ તેને ગાળો આપી ભાવનાબેન તથા આનંદી એ હંસાબેન ના વાળ પકડી તેને પછાડી દઈ તેના પૌત્ર સોહીલે તેની પીઠના ભાગે ક્રિકેટ રમવાના બેટ થી મુંઢ માર મારી ખાટલા પર પછાડી દઈ ઇજા પહોંચાડ્યાની તથા મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઇ હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:44 am

ગરમીમાં વધઘટ યથાવત:બપોરે તાપમાન 4.8 ડિગ્રી સેન્ટિગ્રેડ વધ્યું

ભાવનગર શહેરમાં આજે બપોર મહત્તમ તાપમાનનો પારો વધીને 37.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયો હતો અને ભાવનગરમાં દરરોજ તાપમાનમાં નોંધપાત્ર વધઘટનો સિલસિલો યથાવત રહ્યો હતો. એક જ દિવસમાં શહેરમાં મહત્તમ તાપમાન 4.8 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 37.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ, હતુ. સાંજે પવનની ઝડપ પણ ઘટીને 8 કિલોમીટર નોંધાઇ હતી. આમ, ગરમીનો પ્રભાવ વધ્યો છે. પવનની ધીમી ગતિને કારણે ભેજનું પ્રમાણ વધતાં બફારો પણ વધ્યો હતો. ભાવનગર શહેરમાં ગરમી વધી છે. ગઇ કાલે મહત્તમ તાપમાન ઘટીને 32.4 ડિગ્રી થઇ ગયુ હતુ પણ આજે બપોર તાપમાન 4.8 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 37.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા ઉનાળો હવે આક્રમક બની રહ્યો છે. આગામી દિવસોમાં સૂર્ય નારાયણ પોતાનું અસલ સ્વરૂપ દર્શાવશે અને લોકો ગરમીથી પરેશાન થશે. આજે શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન પણ વધીને 24.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આજે સવારે પવનની ઝડપ 10 કિલોમીટર હતી તે આજે સાંજે ઘટીને 8 કિલોમીટર થઇ ગઇ હતી. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 63 ટકા હતુ તે આજે સાંજે ઘટીને 31 ટકા થઇ ગયું હતુ. આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી શકે છે,

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:43 am

ભાવનગરના મુસાફરોને લાભ:વેકેશનના બે મહિના દર રવિવારે ભાવનગર-હરિદ્વાર ટ્રેન ફાળવાઇ

ઉનાળાના વેકેશનની રજાઓ દરમિયાન મુસાફરો માટે સુવિધા પુરી પાડવા માટે પશ્ચિમ રેલવે કાર્યરત છે, અને આ શ્રેણીમાં ટ્રેન ઓન ડિમાન્ડ યોજના તળે વિશેષ ભાડા સાથે વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ટર્મિનસ અને હરિદ્વાર વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ સેવા એપ્રિલ 2026થી મે 2026 દરમ્યાન બંને દિશામાં કુલ 8-8 ફેરા સાથે સંચાલિત કરવામાં આવશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી અનુસાર, ટ્રેન નં. 09271 ભાવનગર ટર્મિનસ – હરિદ્વાર સાપ્તાહિક સ્પેશિયલ 12 એપ્રિલ, 2026 થી 31 મે, 2026 સુધી ચાલશે. આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી દરેક રવિવારે સવારે 04:25 વાગ્યે પ્રસ્થાન કરીને સોમવારે બપોરે 15:00 વાગ્યે હરિદ્વાર પહોંચશે. તે જ રીતે પરત ફરતી ટ્રેન નં. 09272 હરિદ્વાર – ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ 13 એપ્રિલ, 2026 થી 01 જૂન, 2026 સુધી ચાલશે. આ ટ્રેન હરિદ્વારથી દરેક સોમવારે સાંજે 16:25 વાગ્યે પ્રસ્થાન કરીને બુધવારે સવારે 04:35 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. હરિદ્વાર સ્પેશિયલ ટ્રેનને ક્યા સ્ટોપેજ અપાયા?સમર સ્પે. હરિદ્વાર ટ્રેનને બંને દિશામાં સિહોર, ધોળા, બોટાદ, સુરેન્‍દ્રનગર ગેટ, વિરમગામ, આંબલી રોડ, ગાંધીનગર કેપિટલ, મહેસાણા, પાલનપુર જં., આબુરોડ, પિંડવાડા, ફાલના, મારવાડ જં., પાળી મારવાડ, લૂની જં., જોધપુર જં., ગોટન, મેડતા રોડ જં., ડેગાના જં., છોટી ખાટૂ, ડીડવાના, લાડનૂં, સુજાનગઢ, રતનગઢ જં., ચૂરૂ, સાદુલપુર જં., સિવાની, હિસાર જં., ભિવાની જં., કલાનૌર કલાં, રોહતક જં., પાનીપત જં., અંબાલા કેન્ટ જં., સહારનપુર જં. તથા રૂડકી સ્ટેશનો પર ઉભી રહેશે. સમયસર સમર સ્પેશિયલ ટ્રેનો ઘોષિત થતી નથીભાવનગર ટર્મિનસ અને હરિદ્વાર વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન એપ્રિલ અને મે મહિનામાં દોડાવવાની ઘોષણા રેલવે તંત્ર દ્વારા શુક્રવારે બપોરે કરવામાં આવી હતી અને તેનું બુકિંગ શુક્રવારે જ સાંજે 5 કલાકથી શરૂ કરી દેવામાં આવી છે. સમર સ્પેશિયલ ટ્રેનોની ઘોષણા જો માર્ચ માસ દરમિયાન તંત્ર દ્વારા કરી દેવામાં આવે તો વેકેશન માટે પ્લાનિંગ કરવામાં મુસાફરોને અનુકુળતા મળી શકે તેમ છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:42 am

આજે પાર્કિન્સન્સ દિવસ:કંપવાના દર્દીને સહકાર, સમજ અને સહાનુભૂતિ અસરકારક

તા. 11 એપ્રિલના દિવસને વિશ્વભરમાં વિશ્વ પાર્કિન્સન્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પાર્કિન્સન્સ એક પ્રગતિશીલ ન્યુરોલોજીકલ (મગજને લગતો) રોગ છે, જેમાં મગજના કોષો ધીમે ધીમે અસરગ્રસ્ત થવા લાગે છે. પરિણામે, શરીરના હલનચલનમાં ફેરફાર થાય છે. સામાન્ય રીતે હાથ કે પગમાં ધ્રુજારી, ચાલવામાં મુશ્કેલી, જકડન, ક્રિયાઓ ધીમી પડી જવી, સંતુલન ગુમાવવું જેવા લક્ષણો જોવા મળે છે. પરંતુ પાર્કિન્સન્સ માત્ર હલન-ચલનનો જ રોગ નથી — તેમાં નોન-મોટર લક્ષણો પણ એટલા જ મહત્વપૂર્ણ છે, જેમ કે ઉદાસીનતા, ઊંઘમાં ખલેલ, થાક, યાદશક્તિમાં ઘટાડો અને ચિંતાની સમસ્યાઓ જોવા મળે છે. સહકાર, સમજણ અને સહાનુભૂતિ — આ ત્રણ બાબતો કોઈપણ દવા કરતાં વધારે અસરકારક બની શકે છે. 92 વર્ષે પણ પીએનઆર સોસાયટીમાં સેવારત બાબાભાઈ શાહ જણાવે છે કે, આજના સમયમાં અનેક પાર્કિન્સન્સ દર્દીઓ સુધી યોગ્ય સારવાર, માર્ગદર્શન અને સહાય પહોંચતી નથી. આ અંતરને ઘટાડવું — એ આજની સૌથી મોટી જરૂરિયાત છે. અમારી સંસ્થા આ માટે કામ કરી રહી છે. ભાવનગરમાં BKPPDMDS અને PNR Societyના સંયુક્ત ઉપક્રમે ચાલતા પાર્કિન્સન્સના સેન્ટરના ભાવીન માંડવીયા જણાવે છે, ભાવનગરમાં પાર્કિન્સન્સના દર્દીઓ આ સેવાનો છેલ્લા 13 વર્ષ થી લાભ લઇ રહ્યાં છે. આ માટે દર રવિવારે સવારે 10.30 કલાકે, અંધ ઉદ્યોગ શાળા, PNR SOCIETY ખાતે સેશન લેવામાં આવે છે તેમ જનરલ સેક્રેટરી પારસભાઈ શાહ જણાવ્યું હતું. આપણે નાના પ્રયત્નોથી મોટા ફેરફાર લાવી શકીયે સપોર્ટ ગ્રુપ થેરાપી સેશન્સ ઉપયોગી સાબિતકંપવા નામથી જાણીતા આ પાર્કિન્સન્સ રોગના દર્દીઓ માટે ગુજરાત અને પુણેમાં કાર્યરત બી. કે. પારેખ પાર્કિન્સન્સ ડિસીઝ એન્ડ મૂવમેન્ટ ડિસઓર્ડર સોસાયટી (BKP-PDMDS) છેલ્લા ઘણા વર્ષોથી કાર્ય કરી રહી છે. રાજ્યના વિવિધ શહેરોમાં સપોર્ટ ગ્રુપ થેરાપી સેશન્સ દ્વારા ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, કાઉન્સેલિંગ, આર્ટ-ડાન્સ થેરાપી અને જાગૃતિ કાર્યક્રમો દ્વારા દર્દીઓ અને તેમના પરિવારજનોને સશક્ત બનાવવાનું કામ કરે છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:41 am

ઢાંઢીયા ગામની સીમમાંથી દારૂ ઝડપાયો:બુટલેગર ‘બાબુ’નો 22 લાખનો દારૂ, બે કાર, આઈશર સહિત 32 લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતા બુટલેગરો સામે ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. શહેર નજીક ઢાંઢીયા ગામની સીમમાં ખરાબાની જગ્યામાં જ્યારે વિદેશી દારૂનું મોટું કટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે જ પોલીસની ટીમે દરોડો પાડીને રૂ. 32.16 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. રાજકોટના લિસ્ટેડ બુટલેગર આનંદ ઉર્ફે બાબુએ મંગાવેલો આ જથ્થો સ્થાનિક બુટલેગરોને સપ્લાય કરવામાં આવે તે પહેલા જ પોલીસે બાજી પલટી નાખી હતી અને 3 શખસોને ઝડપી લીધા હતા, તેમજ ફરાર થઇ ગયેલા લિસ્ટેડ બુટલેગર સહિત 3ની શોધખોળ આદરી છે. એએસઆઈ સમીરભાઈ શેખ અને તેમની ટીમને પાકી બાતમી મળી હતી કે ઢાંઢીયા ગામની સીમમાં એક આઈશર ટ્રકમાંથી દારૂ ઉતારવામાં આવી રહ્યો છે. પોલીસે કોર્ડન કરીને દરોડો પાડતા બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી. દરોડાની વિગત: શું શું ઝડપાયું? ઝડપાયેલા આરોપીઓ રાજકોટના ‘બાબુ’ સહિત 3ની શોધખોળદારૂનો જથ્થો રાજકોટના કુખ્યાત બુટલેગર આનંદ ઉર્ફે બાબુ રણછોડ પરમારે મંગાવ્યો હતો. દરોડા દરમિયાન અંધારાનો લાભ લઈને આનંદ ઉર્ફે બાબુ, આઈશરનો ડ્રાઈવર અને સ્વિફ્ટ કારનો ચાલક નાસી છૂટ્યા હતા, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:36 am

ચિલ્ડ્રન ક્લબના બાળકો માટે ‘ત્રિપલ બોનાન્ઝા’ ભેટ:સરગમ ક્લબમાં 11000થી વધુ સભ્યો નોંધાયા: નવી નોંધણી બંધ

રાજકોટની સેવાભાવી સંસ્થા સરગમ ક્લબ દ્વારા નવા વર્ષ માટેના સભ્યોની નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. સંસ્થાના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું કે, આ વર્ષે રાજકોટવાસીઓએ સભ્ય બનવા માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો છે. સરગમ જેન્ટ્સ ક્લબ, લેડીઝ ક્લબ, સીનીયર સિટીઝન ક્લબ, કપલ ક્લબ, ચિલ્ડ્રન ક્લબ અને ઇવનિંગ પોસ્ટમાં થઈને કુલ 11 હજારથી વધુ સભ્યોની નોંધણી થતા, હવે વ્યવસ્થાના ભાગરૂપે નવી નોંધણી બંધ કરવામાં આવી છે. નવા નોંધાયેલા સભ્યો માટે સંસ્થા દ્વારા વિવિધ મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એપ્રિલ માસના છેલ્લા અઠવાડિયામાં સભ્યો માટે મુંબઈના પ્રખ્યાત નાટક ‘હરખ પદુડી હંસા’ના શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પ્રોડ્યુસર આસિફ પટેલ અને દિગ્દર્શક જયદીપ શાહ છે. આ ઉપરાંત, સરગમ ચિલ્ડ્રન ક્લબના બાળકો માટે ખાસ ‘ત્રિપલ બોનાન્ઝા’ ભેટ રાખવામાં આવી છે, જેમાં બાળકો માટે ક્રિશ્ના વોટર પાર્કની મુલાકાત, ફિલ્મ શો અને ફનવર્લ્ડની પિકનિકનો સમાવેશ થાય છે. રાજકોટની બહેનોને આત્મનિર્ભર અને પગભર કરવાના હેતુથી સરગમ લેડીઝ ક્લબ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ સમર ટ્રેઈનીંગ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્લાસ આગામી તા.5 મેથી ત.15 મે દરમિયાન દરરોજ બપોરે 5થી 7 વાગ્યા સુધી રૈયા રોડ પર આવેલી સરગમ સંચાલિત અનિલ જ્ઞાનમંદિર સ્કૂલ ખાતે યોજાશે. આ તાલીમ વર્ગોમાં પેઈન્ટિંગ, ડાન્સ, સ્પોકન ઈંગ્લીશ અને ફોક ડાન્સ જેવા 16 જેટલા વિવિધ વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:33 am

પરિક્ષામાં ગેરરીતિ:નિરિક્ષકને ન દેખાયા, પણ ‘CCTV’એ પકડી પડ્યાધોરણ 10-12ના 95 વિદ્યાર્થીનો બોર્ડમાં રીપોર્ટ કરાયો

પરીક્ષાખંડમાં સુપરવાઈઝરની હાજરી હોવા છતાં ‘ચૂપકે-ચૂપકે’ વાતો કરવી કે આજુબાજુમાં પૂછીને પેપર લખવું હવે ભૂતકાળ બની ગયું છે. રાજકોટ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન જે વિદ્યાર્થીઓ સુપરવાઈઝરની નજર બચાવીને ગેરરીતિ કરતા હતા, તેમને CCTV કેમેરાએ ઝડપી પાડ્યા છે. સીસીટીવી ફૂટેજ ચેકિંગ દરમિયાન શંકાસ્પદ જણાયેલા 95 વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોપી કેસ નોંધી તેમનો રિપોર્ટ ગાંધીનગર બોર્ડને મોકલી દેવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર, પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે સીસીટીવી ફૂટેજની ડીવીડી તપાસવામાં આવી ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. અનેક પરીક્ષાર્થીઓ સુપરવાઈઝર જ્યારે બીજી તરફ હોય ત્યારે અંદરોઅંદર વાતચીત કરતા, ઇશારા કરતા અને પાછળના વિદ્યાર્થીના પેપરમાં ડોકિયું કરતા કેમેરામાં કેદ થયા હતા. આશ્ચર્યની વાત એ છે કે આટલી હરકતો છતાં ક્લાસમાં હાજર સુપરવાઈઝરને આ બાબત ધ્યાને આવી નહોતી. હવે શું થશે - બોર્ડની સમિતિ ફેંસલો કરશેશિક્ષણાધિકારીની ટીમ દ્વારા આ તમામ 95 વિદ્યાર્થીઓનો અહેવાલ ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને સોંપવામાં આવ્યા છે. ગાંધીનગર બોર્ડની શિસ્ત સમિતિ હવે નક્કી કરશે કે આ વિદ્યાર્થીઓને કેટલી સજા કરવી. શંકાસ્પદ ‘કોપીબાજ’ 500થી વધુ CDનું સ્કેનિંગ, શિક્ષકોની ટીમે એક-એક સેકન્ડના ફૂટેજ ફંફોસ્યાબોર્ડની પરીક્ષામાં ગેરરીતિ પકડવા માટે રાજકોટ શિક્ષણ વિભાગે આ વખતે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કર્યો છે. ન્યુ એરા સ્કૂલ અને ધોળકિયા સ્કૂલની હાઈટેક કોમ્પ્યુટર લેબને તપાસ કેન્દ્ર (વોર રૂમ)માં ફેરવી દેવામાં આવી હતી. શિક્ષકોની આ ‘ડિજિટલ ડિટેક્ટિવ’ જેવી કામગીરીને કારણે જ સુપરવાઈઝરો જે ભૂલ નહોતા પકડી શક્યા, તે હવે બોર્ડ સમક્ષ પુરાવા સાથે રજૂ કરવામાં આવી છે. શિક્ષકો અને ટેકનિકલ નિષ્ણાતોના કાફલાએ રાજકોટ શહેર અને જિલ્લાના કેન્દ્રો પરથી આવેલી 500થી વધુ સીડી (CD) નું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. ક્લાસરૂમમાં સુપરવાઈઝરની નજર ચૂકવીને વિદ્યાર્થીએ ક્યારે ડોકિયું કર્યું કે ક્યારે ઈશારો કર્યો, તેની એક-એક સેકન્ડની હિલચાલને શિક્ષકોએ રીવાઈન્ડ કરી કરીને તપાસી હતી. સતત દિવસ-રાત ચાલેલી આ કવાયત બાદ અંતે 95 એવા વિદ્યાર્થીઓ મળી આવ્યા જેમના પુરાવા કેમેરામાં કેદ હતા.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:31 am

વેધર રિપોર્ટ:મહત્તમ તાપમાન 23 ડિગ્રી નોંધાયું, બપોરે ગરમી, રાત્રે ઠંડી ની અનુભૂતી

પોરબંદરમાં મહતમ તાપમાન 33.8 ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 52 ટકા યથાવત રહ્યું છે, જયારે લઘુતમ તાપમાન 2 ડિગ્રી વધીને 23 ડિગ્રી નોંધાયું છે ત્યારે સવાર થી સાંજ સુધી ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પોરબંદરમાં સવારે ગરમી અને બપોરે વધુ ગરમીનો અનુભવ થાય છે જ્યારે સાંજે ઠંડક પ્રસરે છે અને મોડી રાત્રે હળવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉનાળા દરમ્યાન શહેરીજનો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે ત્યારે પોરબંદરમાં ગઈકાલે ગુરુવારે મહતમ તાપમાન 33.8 ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુતમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 52 ટકા રહ્યું હતું જેની સામે શુક્રવારે મહતમ તાપમાન 33.8 ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 52 ટકા યથાવત રહ્યું છે પરંતુ પોરબંદરમાં લઘુતમ તાપમાન 2 ડિગ્રી વધીને 23 ડિગ્રી નોંધાયું છે.જેને પગલે ઠંડી અનુભવાઇ રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ:પોરબંદર તાલુકા પંચાયતમાં 16,રાણાવાવમાં 10 અને કુતિયાણામાં 12 નવા ચહેરાઓને ભાજપે ટિકીટ આપી

પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારો ની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં મહાનગરપાલિકામાં મોટાભાગના ઘુરઘરોની ટિકિટ કપાતા અસંતોષનો જોવા મળી રહ્યો છે. પોરબંદર મહાનગરપાલિકા માં 40 ઉમેદવારો, જિલ્લા પંચાયતમાં 14 ઉમેદવારો, પોરબંદર તાલુકા પંચાયતમાં 16 ઉમેદવારો, રાણાવાવ તાલુકા પંચાયતમાં 10 ઉમેદવારો અને કુતિયાણા તાલુકા પંચાયતમાં 12 નવા ઉમેદવારોને ભાજપે ટીકીટ આપી છે તો ભાજપ દ્વારા શુકવારે રાત સુધી પોરબંદર જિલ્લા પંચાયતની એક,પોરબંદર તાલુકા પંચાયતની ત્રણ અને કુતિયાણા તાલુકા પંચાયતની 2 બેઠકોના ઉમેદવારો નામો જાહેર કરાયા નથી. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોરબંદર જિલ્લા પંચાયત, પોરબંદર મહાનગરપાલિકા અને પોરબંદર તાલુકા પંચાયત, રાણાવાવ તાલુકા પંચાયત અને કુતિયાણા તાલુકા પંચાયત ચૂંટણી માટે આમ આદમી પાર્ટી,કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે પોરબંદર જિલ્લામાં ભાજપ દ્વારા શુકવારે આખો દિવસ ઉમેદવારોની યાદી જાહેર કરવાને બદલે રાતે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર મહાનગરપાલિકામાં જેમાં મહાનગરપાલિકામાં મોટાભાગના ઘુરઘરોની ટિકિટ કપાતા અસંતોષનો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા જાહેર કરેલ મનપાના ઉમેદવારોમાંથી 40 નવા ઉમેદવારો, જિલ્લા પંચાયતમાં 14 નવા ઉમેદવારો, પોરબંદર તાલુકા પંચાયતમાં 16 નવા ઉમેદવારો, રાણાવાવ તાલુકા પંચાયતમાં 10 નવા ઉમેદવારો અને કુતિયાણા તાલુકા પંચાયતમાં 12 નવા ઉમેદવારોને ભાજપે ટીકીટ આપી છે. તો ભાજપ દ્વારા શુકવારે રાત સુધી પોરબંદર જિલ્લા પંચાયતની એક,પોરબંદર તાલુકા પંચાયતની ત્રણ અને કુતિયાણા તાલુકા પંચાયતની 2 બેઠકોના ઉમેદવારો નામો જાહેર કરાયા નથી. જુના સદસ્યોએ એડીચોટીનું જોર લગાવ્યું પોરબંદર મહાનગરપાલિકાની ટીકીટ જાહેરાત સમયે અનેક જુના સદસ્યોને ટીકીટ કપાવાની ગંધ આવી જતા કપાયેલા જુના જોગીઓ ટીકીટ મેળવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું અને અનેક રાજકીય નેતાને ફોન ઘુમાવ્યા હતા. મોટાનેતાના નજીકના સદસ્યને ટિકીટ‎અપાવવા સાંજ સુધી લિસ્ટ જાહેર ન થયું‎પોરબંદર મહાનગરપાલિકાના એક વિસ્તારના પૂર્વે સદસ્યની ટીકીટ કપાઈ છે ત્યારે આ સદસ્ય એક મોટા નેતાના નજીક હોવાથી સાવરથી સાંજ સુધી જોર લગાવ્યું હતું જેને લઈને મનપાના ઉમેદવારનું લિસ્ટ સાંજ સુધી જાહેર થયું ન હતું. પાલિકાના પૂર્વ પ્રમુખની ટિકીટ કપાઈ ભાજપ દ્વારા પોરબંદર મહાનગરપાલિકા ઉમેદવારો જાહેર કરેલ લિસ્ટમાં 40 જેટલા ધુરધરોના નામ કાપી નાખવામાં આવ્યા છે જેમાં પોરબંદર નગરપાલિકા પૂર્વે પ્રમુખ સરજુ કારીયા,પંકજ મજીઠિયા, અશોક ભદ્રેચા સહિતના ટીકીટ કપાઈ છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

પેપર ચકાસણી:પોરબંદર જિલ્લામાં ચાર મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં બોર્ડની પરીક્ષાના 39,050 પેપેરની ચકાસણી પૂર્ણ

બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આ બોર્ડની પરીક્ષા બાદ પેપર ચકાસણી અલગ અલગ જિલ્લામાં ફાળવવામાં આવેલ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં કરવામાં આવી રહી હતી.પોરબંદર જિલ્લામાં પણ 4 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રની ફાળવણી કરવામાં આવી હતી.જેમાં અલગ અલગ વિષયના કુલ 489 શિક્ષકો દ્વારા 39,050 પેપરની ચકાસણી કરવામાં આવી છે. તાજેતરમાં માર્ચ માસના પ્રારંભે જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું.આ બોર્ડની પરીક્ષા તાજેતરમાં પૂર્ણ થઈ છે.ત્યારે આ પરીક્ષામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓના પેપરની ચકાસણીની કામગીરી બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓના પેપરની ચકાસણી માટે અલગ અલગ જિલ્લામાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રની પણ ફાળવણી કરવામાં આવી હતી.જેમાં પોરબંદર જિલ્લામાં પણ માધવપુર ખાતે તેમજ પોરબંદર શહેરના નવયુગ સ્કૂલ,બાલુબા સ્કૂલ અને એમ.ઇ.એમ સ્કૂલ ખાતે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રની ફાળવણી કરવામાં આવી હતી. આ કેન્દ્રમાં આવતા પેપરની ચકાસણી માટે પોરબંદર જિલ્લામાંથી અલગ અલગ વિષયના કુલ 489 શિક્ષકોની પણ નિમણૂક કરવામાં આવી હતી.આ કેન્દ્રમાં 4 શિક્ષકોની ટીમ વચ્ચે 144 પેપર ચકાસણી માટે આપવામાં આવે છે.આ શિક્ષકો દ્વારા અત્યાર સુધીમાં કુલ 39,050 પેપરોની ચકાસણી કરવામાં આવી છે. ક્યાં વિષયના પેપરની ચકાસણી થાય છે પોરબંદર જિલ્લામાં આવેલ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં ધોરણ 12ના ગુજરાતી,અંગ્રેજી,મનો વિજ્ઞાન, તત્વજ્ઞાન, સંસ્કૃત, ભૂગોળ, સમાજશાસ્ત્ર, એચ.પી.સી.સી, વાણિજ્ય, આંકડાશસ્ત્ર, નામું અને ધોરણ 10ના વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, ગણિત વિષયના પેપરની ચકાસણી કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

13 વોર્ડમાં 191 મતદાન મથકોમાં મતદાન યોજાશે:મનપાના 13 વોર્ડમાં 1 નંબરમાં સૌથી વધુ અને 10 નંબરમાં સૌથી ઓછા મતદારો

પોરબંદર મનપાની ચૂંટણી જાહેર થતા વોર્ડ દીઠ મતદારો અને મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે. પોરબંદરમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં 13 વોર્ડમાં મતદાન યોજાશે. તંત્ર દ્વારા દરેક વોર્ડ દીઠ મતદારોની સંખ્યા અને મતદાન મથકોની સંખ્યા જાહેર કરવામાં આવી છે ત્યારે પોરબંદરમાં વોર્ડ નંબર 1માં સૌથી વધુ 15473 મતદારો નોંધાયેલ છે જ્યારે સૌથી ઓછા મતદારોની સંખ્યા વર્ડ નંબર 10માં 9528 મતદાર નોંધાયેલ છે. 13 વોર્ડમાં કુલ 191 મતદાન મથકો જાહેર કર્યા છે. મતદાન મથકોની સંખ્યા વોર્ડ વાઈઝમહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં 17 મતદાન મથક, વોર્ડ નંબર 2માં 16 મતદાન મથક, વોર્ડ નંબર 3માં 18, વોર્ડ નંબર 4માં 14, વોર્ડ નંબર 5માં 13, વોર્ડ નંબર 6માં 18, વોર્ડ નંબર 7માં 14, વોર્ડ નંબર 8માં 15, વોર્ડ નંબર 9માં 14, વોર્ડ નંબર 10માં 11, વોર્ડ નંબર 11માં 12 અને વોર્ડ નંબર 12માં 14 મતદાન મથક અને વોર્ડ નંબર 13માં 15 મતદાન મથક જાહેર કર્યા છે. વોર્ડ વાઇઝ કુલમતદારોની સંખ્યા‎મનપાની ચૂંટણીમાં 13 વોર્ડમાં મતદારોની સંખ્યામાં વોર્ડ નંબર 1માં‎15473, વોર્ડ નંબર 2માં 14858, વોર્ડ નંબર 3માં 15405, વોર્ડ નંબર‎4માં 12046, વોર્ડ નંબર 5માં 10844, વોર્ડ નંબર 6માં 14115, વોર્ડ‎નંબર 7માં 12116, વર્ડ નંબર 8માં 13980, વોર્ડ નંબર 9માં 11424,‎વોર્ડ નંબર 10માં 9528, વોર્ડ નંબર 11માં 11529, વોર્ડ નંબર 12માં‎12114 અને વોર્ડ નંબર 13માં 13324 મતદારો નોંધાયેલ છે.‎

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

છેતરપિંડી:માંડવા ગામના પ્રૌઢ સાથે પોરબંદરના શખ્સે રૂ.37 લાખની છેતરપિંડી આચરી

કુતિયાણાના માંડવા ગામે રહેતા પ્રૌઢને પોરબંદરના આરોપીએ પોતે સરકારી ભરતી બોર્ડના અધિકારી સાથે ઓળખાણ ધરાવતા હોવાની ખોટી માહિતી આપી હતી અને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી પ્રૌઢની દિકરી અને ભત્રીજા સહિત કુલ 4 વિધાર્થીના રૂ.40 લાખ ખર્ચે થશે તેમ જણાવી રકમ મેળવી લીધી હતી અને નોકરી ન અપાવી છેતરપિંડી આચરી હતી જે અંગે ફરિયાદ નોંધાઈ છે. કુતિયાણાના માંડવા ગામે રહેતા જગમાલભાઈ કાનાભાઈ વરૂ નામના પ્રૌઢને પોરબંદરના બોખીરામાં રહેતો મૌલિક હરીશ મોઢા નામના શખ્સે પોતે સરકારી ભરતી બોર્ડના અધિકારી સાથે ઓળખાણ ધરાવતા હોવાની ખોટી માહિતી આપી હતી. પ્રૌઢની દીકરી તથા તેના ભત્રીજા મળીને 4 વિદ્યાર્થીને સરકારી નોકરી અપાવવાનો વિશ્વાસ અપાવી, એક વિદ્યાર્થીના રૂ.10 લાખ એમ 4 વિદ્યાર્થીનો રૂ. 40 લાખ ખર્ચ થશે તેમ જણાવી રૂ.40 લાખ માંગ્યા હતા. પ્રૌઢે આરોપીના વિશ્વાસમાં આવીને તા.19/2/2022માં બેંક આરટીજીએસ મારફત, આંગણીયા મારફત કુલ 40 લાખ આપ્યા હતા. તેમાંથી આરોપીએ માટે રૂ.3 લાખ પરત આપેલ હતા બાકીની રકમ અત્યાર સુધી પરત આપી ન હતી. આરોપીએ ચારેય વિદ્યાર્થી માંથી એકપણ વિદ્યાર્થીને સરકારી નોકરીનો ઓર્ડર અપાવ્યો ન હતો. આમ આરોપીએ પ્રોઢ અને વિદ્યાર્થીઓને ખોટો વિશ્વાસ અપાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મૌલિક હરીશ મોઢા સામે ગુન્હો નોંધી આગળની તપાસ કુતિયાણા પોલીસ ચલાવી રહી છે.જગમાલભાઈ કાનાભાઈ વરૂએ 23 વર્ષ સુધી માંડવા ગામે સરપંચ તરીકે સેવા આપેલ છે. 2021માં ભાદર નદીના કાંઠે આવેલ જમીનમાં વીજ પોલ નાખવાના વળતર બાબતે ખેડૂતો દ્વારા પ્રાંત કચેરી કુતિયાણા ખાતે પ્રોઢ હાજર હતા

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

મનપાની લાલઆંખ:નટવર ચોક શાકમાર્કેટ વિસ્તારમાં 16‎લોકો પાસેથી રૂ.1600નો દંડ વસૂલાયો‎

પોરબંદર મનપા દ્વારા શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના હેતુસર દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને જાહેર સ્થળોએ ગંદકી ફેલાવનારાઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત મનપાના મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી સેનિટેશન વિભાગના સેનિટેશન ઓફિસર જગદીશભાઈ ઢાંકીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા નટવર ચોક શાકમાર્કેટ વિસ્તારમાં વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાહેરમાં કચરો ફેંકનાર તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર કુલ 16 વ્યક્તિની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ તમામ વ્યક્તિઓ પાસેથી કુલ રૂ.1600નો દંડ વસૂલવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગના સેનિટેશન ઓફિસર ઢાંકીએ જણાવ્યું હતું કે, આવનારા સમયમાં પણ આવી કામગીરી વધુ કડક રીતે ચાલુ રહેશે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સ્વચ્છતા જાળવવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને શહેરને સ્વચ્છ તેમજ સુંદર બનાવવામાં નગરજનો સહકાર આપે તેવી અપીલ કરી છે. માર્ચમાં 128 સામે દંડ, રૂ.64,350 વસૂલાયા મનપાના સેનિટેશન વિભાગે ગત માર્ચ દરમિયાન સઘન ચેકિંગમાં 128 વેપારીઓ-વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી રૂ.64,350 વસૂલ્યા. 45 વેપારીઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક માટે રૂ.33,500 દંડ સાથે 649 કિલો જપ્ત કરાયું હતું, જ્યારે ગંદકી ફેલાવનાર 83 પાસેથી રૂ.30,850 વસૂલાયા હતા.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

63,000નો મુદ્દામાલ જપ્ત કરાયો:પંચેશ્વર મંદિર પાછળ દેશી દારૂની ફેક્ટરી ઉપર દરોડો

હવે દારૂની પ્રવૃત્તિને ડામવા પેરોલ ફર્લો સ્ક્વોડે પણ મેદાને આવી શહેરના પંચેશ્વર મહાદેવ મંદિર પાછળ આવેલા કાળવા વોકળામાં ચાલી રહેલી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર દરોડો પાડી 63,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી નાસી છૂટ્યો હતો. પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી કે, પંચેશ્વરમાં રહેતો દેવા મોરી નામનો શખ્સ કાળવા વોકળામાં દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ કરી રહ્યો છે. વોકળાના કાંઠે દરોડો પાડતા ચાર મોટા પતરાના બોઈલર બેરલ મળી આવ્યા હતા, જેમાં દારૂ બનાવવાનો ગરમ આથો ઉકળી રહ્યો હતો. ​ પોલીસે સ્થળ પર તપાસ કરતા જમીનમાં દાટેલા અને બહાર રાખેલા કુલ 8 બેરલ હાથ લાગ્યા હતા, જેમાં દેશી દારૂ બનાવવાનો રૂપિયા 50,2000 લિટર આથો ભરેલો હતો. પોલીસે 14,000નો 70 લિટર તૈયાર દેશી દારૂ અને 3,000ની કિંમતના ભઠ્ઠીના સાધનો સહિત 67 હજારનો મુદ્દામાલ કબ્જે કરી દેવા લખમણ મોરીને પકડવા વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

પોલીસ કાર્યવાહી:દારૂ કેસમાં 2 વર્ષથી ફરાર રાજકોટનો આરોપી મજેવડી દરવાજેથી ઝડપાયો

15 બોટલ દારૂ કેસમાં 2 વર્ષથી ફરાર રાજકોટના આરોપીને પોલીસે મજેવડી દરવાજેથી ઝડપી લઇ આગળની કાર્યવાહી કરી હતી. શહેરમાં નહેરુ પર સોસાયટીમાં આવેલ ચાણક્ય એ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 707માં રહેતા વિપુલ કિરીટભાઈ ઝાંઝમેરીયાને તેના વિસ્તારમાંથી ગત તા. 26 જૂન 2024ના રોજ ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા 6000 ની કિંમતના ઇંગ્લિશ દારૂની 15 બોટલ સાથે પકડી પાડી રૂપિયા 6500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પૂછપરછમાં સુરેશ સિંધી પાસેથી દારૂ વેચાણ અર્થે લીધો હોવાનું જણાવતા બી ડિવિઝનમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી સુરેશ છેલ્લા બે વર્ષથી નાસતો કરતો હતો. દરમિયાન હાલ રાજકોટમાં આરકે પાર્ક રેલનગરમાં રહેતો 43 વર્ષીય આરોપી સુરેશ પ્રહલાદ અમરાણી શહેરમાં મજેવડી દરવાજા પાસે હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ કુણાલ પટેલની ટીમે દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

માંગરોળના મેખડીની ઘટના:માતાએ પૈસા નહિ આપતા પુત્રએ પાવડાના હાથા વડે ધોકાવી નાંખ્યો

માંગરોળ તાલુકાના મેખડી ગામે એક કલિયુગી પુત્રએ પોતાની સગી જનેતા પાસે પૈસાની માંગણી કરી, તે ન મળતા પાવડાના લાકડાના હાથા હુમલો કર્યો હતો. મેખડી ગામે શીતળા માતાના મંદિરની બાજુમાં રહેતા 47 વર્ષીય રેખાબેન જુગાભાઈ દાસા ગુરુવારે સવારે પોતાના ઘરે હતા, ત્યારે તેનો પુત્ર નગાજણ ત્યાં આવ્યો હતો અને રૂપિયા 1,500ની માંગણી કરી હતી. જોકે, રેખાબેને 'તારે કેવા માટે રૂપિયા જોઈએ છે' તેમ કહેતા ઉશ્કેરાયેલા પુત્રએ 'જો તું પૈસા નહીં આપે તો તને ઘરની બહાર કાઢી મૂકીશ અને જાનથી મારી નાખીશ.' તેમ કહી પુત્રએ ઘરમાં રહેલો પાવડાનો લાકડાનો ધોકો લઈ માતાના ડાબા પગ અને ડાબા હાથ પર આડેધડ ફટકા માર્યા હતા. દીકરાના મારના કારણે બૂમાબૂમ કરતા તેમની પુત્રી આરતીએ દોડી આવી છોડાવ્યા હતા. હુમલાથી ઇજાગ્રસ્ત રેખાબેનને સારવાર માટે 108 મારફત માંગરોળ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ​ઘટના અંગે શીલ પોલીસે રેખાબેનની ફરિયાદના આધારે આરોપી પુત્ર વિરુદ્ધ જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

હુમલો:ભાગ મુદે નણંદોયા, ભાણેજનો મહિલા પર હુમલો, ટ્રેક્ટર કુવામાં નાંખી દીધું

કેશોદ તાલુકાના ડેરવાણ ગામના કમળાબેન કાનાભાઈ બકોત્રા (ઉ.વ. 57) નામના મહિલા પોતાના ખેતરમાં શુક્રવારે સવારે વાવેતર કરાવી રહ્યા હતા. આ દરમિયાન તેના વંથલી તાલુકાના લુશાળા ગામે રહેતા નણંદોયા પરબતભાઈ ડાંગર અને તેનો પુત્ર અનિરૂદ્ધ ત્યાં ધસી આવ્યા હતા. બંનેએ 'આ જમીનમાં અમારો ભાગ છે' તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. ​ જ્યારે કમળાબેનના ખેતરમાં ટ્રેક્ટર ચલાવી રહેલા તેના પિતરાઈ પ્રવીણભાઈ નાથાભાઈ છૈયાને તું કોને પૂછીને ટ્રેક્ટર હાંકવા આવેલ છે તેમ કહી ઢીકાપાટુનો માર માર્યો હતો. આટલેથી ન અટકતા, પિતા, પુત્રએ ખેતરમાં રહેલું ટ્રેક્ટર ધક્કો મારીને પાસેના કૂવામાં નાંખી દીધું હતું. જતા-જતા ધમકી આપી હતી કે જો હવે પછી આ ખેતરમાં દેખાશો તો જાનથી મારી નાખીશું.​આ મામલે કમળાબેને કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

આંબેચા ગામની સીમમાંથી ફરાર આરોપી ઝડપાયો:57,450ના ડ્રગ્સ કેસમાં 9 દિવસથી ફરાર લાઠોદ્રાનો આરોપી ઝડપાયો

રૂપિયા 57,450ના ડ્રગ્સ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ફરાર લાઠોદ્રાના આરોપીને સીમ વિસ્તારમાંથી ઝડપી લઇ માળીયા પોલીસને સોંપી આપ્યો હતો. જૂનાગઢ એસઓજીએ ગત તા. 1લી એપ્રિલે માળીયાહાટીના તાલુકાના લાઠોદ્રા ગામના ભૂતવડ વાડી વિસ્તારમાં રહેતો નરવીરસિંહ બાલુભાઈ લાખાણીને લાઠોદ્રા ગામથી પાણીધ્રા પાટીયા તરફના રોડ પર આવેલ જેટકો 66 કેવી સબ સ્ટેશન સામે રોડ પર એમડી ડ્રગ્સને હેરાફેરી કરતો પકડી પાડ્યો હતો. શખ્સ પાસેથી રૂપિયા 57,450ની કિંમતનું 19.15 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સહિત કુલ રૂપિયા 97,450નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. શખ્સે પૂછપરછમાં લાઠોદ્રા ગામના ભૂતવડ વાડી વિસ્તારના અજય માણસુરભાઈ લાખાણી પાસેથી ડ્રગ્સ લીધું હોવાનું જણાવતા એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આરોપી અજય માણસુર આંબેચા ગામની સીમમાં આવેલ લખુ જશાભાઇ સિસોદિયાના ઘરે હોવાની માહિતી મળતા શુક્રવારે એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ કે. એમ. પટેલની ટીમે ઝડપી લઇ વધુ તપાસ માટે માળીયા પોલીસના હવાલે કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

જિલ્લા પંચાયતની ચૂંટણીનો ધમધમાટ:જિલ્લા પંચાયતના 62, તા.પં.ના 303, પાલિકામાં 13 ઉમેદવારી પત્રો રજૂ થયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને જીલ્લામાં ઉમેદવારી પત્રોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેને લઇને અત્યાર સુધીમાં જૂનાગઢ જીલ્લા પંચાયતમાં 62, તાલુકા પંચાયતમાં 303 અને નગરપાલિકા માટે 13 ઉમેદવારી પત્રો રજૂ થયાં છે. આજે ઉમેદવારી પત્રો ભરવા માટે છેલ્લો દિવસ છે. જૂનાગઢ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકાની ચૂંટણી માટે આગામી તા.26 એપ્રિલના મતદાન થવાનું છે. જેને લઇને તમામ પક્ષોએ તો પોતાના ઉમેદવારો પસંદગીને લઇને ગતિવિધિઅો ચાલુ કરી દીધી છે. ત્યારે આ ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા પણ જરૂરી તબક્કાવાર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને વિસાવદર ખાતેની નગર પંચાયત હાઈસ્કુલ ખાતે પોલિંગ સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી. જેમાં 498 પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસરે ચૂંટણીલક્ષી બાબતો સમજાવવામાં આવી હતી. આ તાલીમમાં અધિકારી અને કર્મચારીઓને મતદાન મથક પર કરવાની થતી મતદાન પ્રક્રિયા તેમજ ઈવીએમને લગતી જુદી-જુદી પ્રેક્ટીકલ બાબતોનું માસ્ટર ટ્રેનર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ દ્વારા તમામ ચૂંટણી સ્ટાફને મતદાન માટે સજ્જ કરવામાં આવ્યો હતો. આ તકે ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણીયાએ તાલીમનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

કોર્પોરેટર જયેશ‎ બોઘરાએ તંત્રની પોલ ખોલી:ગાયોના નામે મત લઈ લીધા, હવે મૃતદેહ કચરામાં ફેંકવા મામલે મહિના પછી વધુ એક માસની મુદ્દત

જૂનાગઢ મનપાની સામાન્ય સભામાં શાસક પક્ષના જ કોર્પોરેટર જયેશ બોઘરાએ તંત્રની પોલ ખોલી નાખી હતી. ગત મહિને અનેક ગાયોના મોત બાદ તેમના મૃતદેહોને અત્યંત અમાનવીય રીતે કચરામાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ ઘટનાથી ગૌભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સભામાં આ મુદ્દો ઉઠાવીને બોઘરાએ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ ગંભીર બેદરકારી સામે અગાઉ જવાબદારોને સસ્પેન્ડ કરવા માટે માત્ર ચાર દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જોકે, આજે એક મહિનો વીતી જવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જે દર્શાવે છે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે ગંભીર નથી. જ્યારે આ મામલે મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારને સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેમણે માત્ર 'ટૂંક સમયમાં કાર્યવાહી થશે' તેવું રટણ ચાલુ રાખ્યું હતું. કમિશનરના આ વલણથી એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે તેઓ પોતાના કર્મચારીઓનો બચાવ કરી રહ્યા છે અને ગાયોના અપમાનના મુદ્દાને હળવાશથી લઈ રહ્યા છે. કમિશનરે એજન્સીની જવાબદારી લીધી‎આખી મનપાનું ઓનલાઇન કામ ખાનગી એજન્સીને પડતી મૂકીને સરકારી કંપનીને સોંપવામાં આવ્યું છે. આ ગેરકાયદે પ્રક્રિયા હોવા છતાં કમિશનર પોતે 'સંપૂર્ણ જવાબદારી' લેવાની વાત કરે છે. એજન્સીને ફાયદો કરાવવા માટે કમિશનરનું આ વલણ અત્યંત આશ્ચર્યજનક છે. મેયર ધર્મેશ પોશીયાના બદલે નગરસેવક વાઘેલાનો જવાબસાતેશ્વર રોડના પ્રશ્ને વિપક્ષી નેતા લલિત પરસાણા અને ભાજપના પ્રવીણ વાઘેલા વચ્ચે ઉગ્ર 'તું-તું મેં-મેં' થઈ હતી. મેયર કે કમિશનરે જવાબ આપવાના બદલે શાસક પક્ષના નગરસેવકે બિનઅધિકૃત રીતે જવાબ આપતા સભાની ગરિમા લજવાઈ હતી અને પાલિકામાં શિસ્તનો અભાવ છતો થયો હતો. જવાહર રોડ ગટર કામમાં ગંભીર બેદરકારી અધિકારીએ કબૂલ્યુંજવાહર રોડ પર નવી ગટર લાઇન નિયમ મુજબ 15 ફૂટ ઊંડી હોવી જોઈએ, જે રોડની બિલકુલ નજીક નંખાઈ રહી છે. કેબલ નડતરનું બહાનું કાઢીને નવાબકાળની જૂની લાઈનમાં જોડાણ આપી સંતોષ મનાઈ રહ્યો છે. આ કામગીરી ભવિષ્યમાં રોડ બેસી જવાની કે ગટર ઉભરાવાની મોટી મુસીબત નોતરશે. દુકાનો તૈયાર, છતાં 2 માસ લાગશે‎જોષીપરા શોપિંગ સેન્ટરમાં વર્ષોથી તૈયાર પડેલી દુકાનો‎ફાળવવામાં પાલિકા સદંતર નિષ્ફળ રહી છે. ભાડું નક્કી થઈ ગયું‎હોવા છતાં, શાસકો હવે વધુ બે મહિનાનો સમય માંગી રહ્યા છે.‎તૈયાર માળખાનો ઉપયોગ ન થવો તે મનપાની અણઆવડત‎અને વેપારીઓ પ્રત્યેની ઉદાસીનતા સાબિત કરે છે.‎

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

વિવાદ વકર્યો:ગિરનાર પર શેષાવન પાસે જૈન ધર્મને જગ્યા ફાળવી દેતા વિવાદ

ગિરનાર પર્વત પર ભરતવન-સેસાવન પાસે જૈન ધર્મ માટે જગ્યાની ફાળવણી કરી દેતા વિવાદ વકર્યો છે. આ મંજૂરી કોણે આપી, કઇ રીતે મેળવી સહિતની બાબતે તપાસ થવી જોઇએ સહિતની બાબતને લઇ ભૂતનાથ મંદિર ખાતે સાધુ-સંતોની બેઠક મળી હતી. બેઠકમાં ચર્ચા થઇ હતી કે, ગિરનાર જંગલમાં ભરતવન-સેસાવન પાસે જૈન લોકોને 200 વારના પ્લોટની ફાળવણી કરી દેવામાં આવી છે. એ લોકોનુ કહેવુ છે અમને આ બાબતે મંજૂરી આપવામાં આવી છે. જે જગ્યાએ લોકોને પહોંચવા માટે પણ વનખાતાની મંજુરી લેવી પડે છે એ જગ્યાએ એકા-એકા ફાળવણી કરી દેતા વિવાદ વકર્યો છે સાથે સાધુ-સંતોમાં રોષ છવાયો છે. જેને લઇને શુક્રવારના સાંજે ભૂતનાથ મંદિર ખાતે સંતોની બેઠક મળી હતી. જેમાં આ જગ્યાની ફાળવણી કેવી રીતે થઇ, મંજૂરી કોણે આપી. આ યોગ્ય છે કે નહીં સહિતની તમામ બાબતે અધિકારીઓ તપાસ કરે તેવી માંગ છે. બેઠકમાં ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ, સુખરામ બાપુ, મહાદેવગીરી બાપુ સહિતના સંતો, ભાવિકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

RTE પ્રવેશ પ્રક્રિયા:જિલ્લામાં RTEમાં 2974 અરજીમાંથી 352 કેન્સલ

ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ટ કંપલ્સરી એજ્યુકેશન એક્ટ મુજબ ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામુલ્યે ધોરણ 1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જે બાળકોએ 1 જૂન- 2025ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય તેને અગ્રતા આપવામાં આવશે. જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ મળતી વિગત મુજબ, સરકાર દ્વારા રાઇટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ટ કંપલ્સરી એજ્યુકેશન એક્ટ મુજબ દર વર્ષે નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી પ્રાથમિક શાળાઓમાં નિ:શુલ્ક ભણી શકે તે માટે ધોરણ 1 માં પ્રવેશ અપાય છે. જિલ્લામાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં બાળકો આનો લાભ લે છે. આ વર્ષના પ્રવેશ માટે તારીખ 4 એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂ થઇ છે. જે આગામી તારીખ 17 એપ્રિલ સુધી ચાલનાર છે. જેમાં તારીખ 10 એપ્રિલને શુક્રવાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાંથી કુલ 2974 અરજી થઇ હતી. જેમાંથી 1609 મંજૂર, 709 પેન્ડીંગ, 304 રિજેક્ટ અને 352 કેન્સલ કરવામાં આવી છે. હજુ આ અરજીમાં વધારો થશે એમ જણાવ્યુ છે. આધારકાર્ડ, આવકના દાખલા સહિતના કાગળોમાં ભૂલથી અરજી રિજેક્ટ થાય આરટીઇમાં અરજી રિજેક્ટ થવાના કારણમાં વધારે આધારકાર્ડમાં નામ પુરુ ન હોય, કોઇપણ નામમાં ભૂલ હોય ઉપરાંત સરનામુ બદલી ગયુ હોય પણ કાગળોમાં જૂનૂ જ સરનામુ લખેલુ હોય તેને કારણે અને ખાસ આવકના દાખલમાં ક્ષતી સહિતની બાબત આરટીઇની અરજી રિજેક્ટ થવા પાછળ જવાબદાર રહે છે. > અશોક વાણવી, નાયબ શિક્ષણાધિકારી-જૂનાગઢ

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

ભાસ્કર વિશેષ:ઊનાળામાં શરીરમાં લાલ કુંડાળા- નાની ફોડકી અને ધાધર સહિત ચામડીનાં કેસો વધી ગયા

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા ઘણા દિવસથી ગરમીનુ પ્રમાણ સતત વધેલુ જોવા મળી રહ્યુ છે. જેમાં સવારે 11 થી બપોરના 5 કલાક સુધી 35 થી 38 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાય રહ્યુ છે. આ ગરમીને લીધે ચામડીના રોગમાં પણ વધારો થયો છે. સિવિલમાં રોજની 150થી વધારે ઓપીડી ચામડી વિભાગમાં નોંધાય રહી છે. ચામડી વિભાગના તબીબ ડો. જયદિપ ટાંકે જણાવ્યુ કે, ગરમીને કારણે ચામડીના રોગમાં વધારો થાય છે. જેમાં હાલ ધાધર, શરીરમાં લાલ કુંડાળા તેમજ નાની-નાની ફોડકીઓ નિકળતી હોય તેવા કેસો સામે આવ્યા છે. હાલ જૂનાગઢ સિવિલમાં ચામડી વિભાગમાં જે રોજની 150થી વધારેની ઓપીડી હોય છે તેમાં અડધો અડધ દર્દી ધાધરના, 30 ટકા લાલ કુંડાળા તેમજ 20 ટકા નાની-નાની ફોડકીઓ(અરાયુ) નિકળી હોય તેવા દર્દીઓ નોંધાય રહ્યા છે. બાળકોથી માંડીને સિનિયર સિટીઝન સુધીનામાં આ અસર દેખાય રહી છે. ગરમી વધવાની સાથે આ કેસોમાં પણ સતત વધારો થશે એમ તબીબે જણાવ્યુ હતુ. ગરમીમાં લોકોએ આ સાવચેતી રાખવી હિતાવહ‎ - સુતરાઉ અને ઢીલા કપડાં પહેરવાનો આગ્રહ રાખવો.‎- દિવસમાં બે કે તેથી વધુ વાર સ્નાન કરવાનુ રાખવુ.‎- બપોરે 12 થી 4 કલાક જરૂરીયાત વગર બહાર ન નિકળવું.‎- ટુવાલ, નેપકીન સહિતની વસ્તુઓ અલગ-અલગ રાખવી‎- પાણી, લીંબુ પાણી સહિતના લીકવીડનુ સેવન વધારે કરવુ.‎- તીખા-તળેલા ખોરાકનુ સેવન ટાળી હળવો ખોરાક લેવો.‎

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

વેધર રીપોર્ટ:ગરમી વધી, મહત્તમ તાપમાન 2.5 ડિગ્રી વધીને 38 નોંધાયું

શુક્રવારે જૂનાગઢ સહિત સોરઠમાં 24 કલાકમાં મહતમ તાપમાન 2.5 ડિગ્રી વધીને 38 ડિગ્રીએ પહોંચી જતા ગરમીથી લોકો અકળાઈ ગયા હતા. છેલ્લા 5 દિવસથી સવારે અને દિવસ દરમિયાન પણ એકંદરે ઠંડક રહ્યા બાદ શુક્રવારે સવારથી વાતાવરણ સુકુ રહ્યું હતું અને લઘુતમ તાપમાન 20 ડિગ્રી આસપાસ રહ્યું હતું જેની સાથે સવારના વાતાવરણમાં ભેજ પણ ઘટતા સવારથી જ ગરમીની શરૂઆત થઈ હતી અને ગુરુવારે જૂનાગઢનું મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી રહ્યા બાદ 24 કલાકમાં શુક્રવારની બપોરે પારો 2.5 ડિગ્રી ઉપર ચડીને 38 ડિગ્રીએ સ્થિર થયો હતો જેના પરિણામે ગરમીનું મોજુ ફરી વળ્યું હતું. ઓચિંતા સૂર્યનારાયણ કોપાયમાન થતા લોકો ત્રાહિમામ થઇ ગયા હતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસીયાએ ભાસ્કરને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં તાપમાનમાં ક્રમશઃ વધારો જોવા મળશે અને રવિવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રી ઉપર જઈ શકે. જેથી આગામી સમયમાં લોકો અકળાઈ જશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

ગ્લોબલ હબ:વનતારાએ વન્યજીવ અને પ્રાણી ચિકિત્સા વિજ્ઞાન માટે વિશ્વની સૌપ્રથમ ગ્લોબલ યુનિવર્સિટીનો પ્રારંભ કર્યો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા વનતારાએ જામનગરમાં વનતારા યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી છે. વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત આ યુનિવર્સિટી વિશ્વની પ્રથમ સંકલિત ગ્લોબલ યુનિવર્સિટી છે. વન્યજીવ સંરક્ષણનું ભાવિ એ બાબત પર નિર્ભર રહેશે કે આપણે કેવી રીતે કરુણા, જ્ઞાન અને કૌશલ્ય સાથે જીવનની સેવા કરવા માટેના મન અને સંસ્થાઓને તૈયાર કરીએ છીએ. તણાવપૂર્ણ પરિસ્થિતિમાં રહેલા પ્રાણીઓને જોવાની અત્યંત વ્યક્તિગત યાત્રા અને તેમની સંભાળ લેવામાં વધારે ક્ષમતાપૂર્ણ જરૂરીયાત રહેલી હોવાની સમજે વનતારા યુનિવર્સિટીને આકાર આપ્યો છે. પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના સિદ્ધાંતો અને તમામ દિશાઓથી ઉમદા વિચારો આપણને પ્રાપ્ત થાઓ એવો અર્થ ધરાવતા આનો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત: શ્લોકના ભાવથી પ્રેરિત, આ યુનિવર્સિટી દરેક જીવમાત્રનું રક્ષણ કરવા નિશ્ચયબદ્ધ નવી પેઢીને તૈયાર કરવા પ્રતિબધ્ધ છે, એમ અનંત અંબાણીએ જણાવ્યું હતું. પારંપારિક વાતાવરણમાં આ મૂલ્યોને પ્રતિબિંબિત કરતા, બે બિજોલિયા રેતશીલાઓ શિલાન્યાસ સ્થળની ડિઝાઇનમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી. વર્તમાનમાં બિહારમાં આવેલી, પ્રાચીન નાલંદાના ભૂસ્તરશાસ્ત્રીય પાયામાં રહેલી પ્રાચીન વિંધ્ય રચનાથી પ્રેરિત આ શિલાઓ ભારતના જ્ઞાન અને શિક્ષણના કાયમી વારસાનું પ્રતીક છે. હિન્દુ પરંપરાઓ અનુસાર આયોજિત આ શિલાન્યાસ સમારોહમાં અનંત અંબાણીના શિક્ષકો અને મેન્ટર્સ સહિત શિક્ષણ, વિજ્ઞાન, સંરક્ષણ અને જાહેર જીવનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ વિદ્યા શાખામાં યુજી, પીજી, વિશિષ્ટ અભ્યાસક્રમો આ યુનિવર્સિટી વિવિધ વિદ્યાશાખાઓમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ-ગ્રેજ્યુએટ, ફેલોશિપ તથા અન્ય વિશિષ્ટ અભ્યાસક્રમો ઉપલબ્ધ બનાવશે. આમાં વન્યજીવન ઔષધિ તેમજ શસ્ત્રક્રિયા, પોષણ, વર્તણૂકીય વિજ્ઞાન, આનુવંષિકતા, રોગશાસ્ત્ર, વન હેલ્થ, સંવર્ધન નીતિ અને કુદરતી પ્રાણી સંભાળને લગતી પર્યાવરણ ડિઝાઇનનો સમાવેશ થાય છે. વનતારાની ઓપરેશનલ ક્ષમતાઓ સાથે સંરેખિત સ્પેશ્યલાઈઝ કોલેજો થકી આ યુનિવર્સિટી દ્વારા સામાજિક અને આર્થિક રીતે હાંસિયામાં ધકેલાયેલા વર્ગોના વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવા શિષ્યવૃત્તિ પણ આપશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

ફરિયાદ:મહીસાગરના 150 તબીબી વિદ્યાર્થીઓનું ભાવિ સાથે ચેડા

જામનગર શહેરમાં આવેલી આયુર્વેદ યુનિવર્સિટી હસ્તકની મહિસાગર જિલ્લાના કોયડમ ખાતે ધન્વંતરી આયુર્વેદ કોલેજ આવેલી છે. જેમાં 150 જેટલા આયુર્વેદના તબીબી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે કોલેજના 25 થી 30 જેટલા વિદ્યાર્થીઓએ વી.સી.ને લેખિતમાં રજુઆત સાથે માંગણી પણ કરી છે. જેમાં કોલેજમાં લાંબા સમયથી પુરતો સ્ટાફ ઉપલબ્ધ નથી, તેમજ કોલેજમાં પુર્ણ સમયના પ્રિન્સિપાલ તથા ફેકલ્ટી સભ્યોની અછત છે. પરિણામે નિયમિત વર્ગો લેવાતા નથી. તેમજ પ્રેક્ટિકલ શિક્ષણ પણ અપાતું નથી. જેથી અભ્યાસ ઉપર ગંભીર અસર પડી રહી છે. આ ઉપરાંત કોલેજ મેનેજમેન્ટ લીધેલ લોનની ચુકવણી કરવામાં આવી ન હોવાથી બેંકના અધિકારીઓ દ્વારા કોલેજને સીલ કરી દેવામાં આવી છે. છેલ્લા 6 માસથી કોલેજ બંધ છે. જેથી છેલ્લા 6 માસથી અમે નવા સિલેબસ (NC15m મુજબ)થી અભ્યાસ કરી રહ્યા છીએ, અમને કોઈ માર્ગદર્શન મળ્યું નથી. જેનાથી અમારા અભ્યાસમાં ગંભીર મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. તેમજ શિક્ષણ ફી પણ ભરવામાં આવી છે. તેમ છતાં કોલેજ મેનેજમેન્ટ દ્વારા ભાવી આયુર્વેદિક તબીબો સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

જન્મ દિવસની ઉજવણી:અનંતના જન્મ દિવસે ભોજન સમારંભમાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર-મહિલાઓએ દુખણા લીધા

જામનગર સ્થિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીના 31માં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દાન, પુણ્યની સાથે-સાથે ભોજન તેમજ લોકડાયરા સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. તો બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અનંત અંબાણીને જન્મ દિવસની શુભકામનાઓ આપવામાં આવી હતી. રિલાયન્સ ટાઉનશીપની આજુબાજુના આવેલા ગામડાઓમાં ગત તા.9ના રોજ અનંત અંબાણીના જન્મ દિવસે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોથી લઈને વૃધ્ધો તેમજ તમામ જ્ઞાતિજનોએ ભોજન કર્યુ હતું. ત્યારે જોગવડ ગામમાં કરાયેલા ભવ્ય ભોજન સમારંભમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. તો ત્યાં આવેલી મહિલાઓને સાડી પણ આપવામાં આવી હતી. આ દરમિયાન બ્રાહ્મણો પણ હાજર હોય અને તેઓએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અનંત અંબાણીને આશિર્વાદ આપ્યા હતા. તો અમુક વિસ્તારો તેમજ શહેરમાં પછાત વિસ્તારોમાં બાળકોને બોટલ સહિતની કીટ પણ આપવામાં આવી હતી. આ સાથે જોગવડ ગામ ખાતે ગુરૂવારે સાંજે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરમાં રાજભા ગઢવી, સાંઈરામ દવે તેમજ દેવાંગી પટેલ વિપ્રય મહેતા સહિતના કલાકોએ પોતાની કલાના કામણ પાથર્યા હતા. તો મોટી સંખ્યામાં લોકોએ આ લોકડાયરાનો લાભ લીધો હતો અને આખી રાત ડાયરામાં બેઠા રહ્યા હતા. ભોજન સમારંભ સમયે લગાડવામાં આવેલા બેનરમાં અનંત અંબાણીને મહિલાઓએ દુ:ખણા લઈને જન્મદિવસના આશિર્વાદ આપ્યા હતા. આ ઉપરાંત અનંત અંબાણીના જન્મદિવસ નિમિતે મંદીરોમાં દાન તેમજ ગાયો સહિતના પશુઓને લાડુ સહિતનો ખોરાક આપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

ફરિયાદ:તું અમારા સામુ કેમ જોશ તેમ કહી યુવર પર હુમલો

કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામમાં તુ અમારા સામુ કેમ જોશ તેમ કહીને એક મહિલા સહિત ત્રણ શખસોએ યુવક ઉપર હુમલો કરીને શરીરે ઈજા પહોંચાડીને ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. કાલાવડ તાલુકાના દાવલી ગામમાં રહેતા વનરાજભાઈ રવજીભાઈ ચાવડા (ઉ.વ.38) નામના યુવક ગત તા.9ના રોજ પોતાની દિકરીને નાની ભગેડી ગામે સ્કુલે મુકવા માટે આવ્યા હતા. આ દરમિયાન આરોપી સુરેશ વાલાભાઈ મકવાણા અને હંસાબેન સુરેશભાઈ મકવાણાએ કહેલ કે, તુ અમારા સામુ કેમ જોશ તેમ કહીને યુવક સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. અપશબ્દો બોલીને સુરેશ મકવાણા, હંસાબેન મકવાણા અને નાનજી દેવશીભાઈ મકવાણાએ લાકડાના ધોકા વડે હુમલો કરીને માથાના જમણા પગમાં ગોઠણથી નીચે તથા જમણા હાથમાં અને માથામાં લોહી કાઢીને તેમજ પગમાં ફેક્ચરની ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બીજી વાર અમારી વચ્ચે આવીશ તો સારાવાટ નહી રહે તેમ કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગેની યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

અજાણ્યા શખ્સે રૂા. 15,000નો મુદ્દામાલ ચોર્યો:અમરેલીમાં કુંકાવાવ રોડ પર ફાર્મ હાઉસમાંથી પંખા, કુલરની ચોરી

અમરેલીના કુંકાવાવ રોડ પર ફાર્મ હાઉસમાંથી અજાણ્યા શખ્સ પંખા અને કુલરની ચોરી કરી હતી. આ અંગે અમરેલી સીટી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. અમરેલીના કુંકાવાવ રોડ વિસ્તારમાં આવેલા વિ.કે. પટેલના ફાર્મ ખાતે ચોરીની ઘટના સામે આવી છે. જયંતીભાઈ બાબુભાઈ ઠુમ્મર (ઉ.વ. 56)એ અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ફાર્મમાં બેસવા માટે બનાવવામાં આવેલી બે માળની ખુલ્લી ઝૂંપડીમાં અજાણ્યો ચોર ગેરકાયદેસર રીતે અંદર પ્રવેશ્યો હતો. આ શખ્સ રૂપિયા 8,000ની કિંમતના ઝૂંપડીમાં ફિટ કરેલા ચાર પંખા તથા ત્યાં રાખેલ રૂપિયા 7,000ની કિંમતનું કુલર મળી કુલ રૂપિયા 15,000નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થયો હતો. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે અજાણ્યા આરોપીની શોધખોળ હાથ ધરી છે. આમ, અમરેલી જિલ્લામાં દિનપ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યાં હોય સઘન પેટ્રોલીંગની માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

ચોરીના કિસ્સામાં ફરાર આરોપી ઝડપાયો:અમરેલી એલસીબીનું મધ્યપ્રદેશમાં ઓપરેશન 7 ચોરીમાં ફરાર શખ્સ અલીરાજપુરથી ઝડપાયો

નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા શરૂ કરાયેલ ખાસ ડ્રાઇવ દરમિયાન અમરેલી એલસીબી ટીમે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. અમરેલી, રાજકોટ , જુનાગઢ તેમજ મધ્યપ્રદેશના ઇન્દોર સહિત શહેરોમાં મળી કુલ 7 ચોરીના ગુનામાં સંડોવાયેલ નાસતો આરોપીને મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બડી કદવાલ ગામનો રહેવાસી બળવંત ગુલાબસિંહ બધેલ (ઉ.વ.35) સાવરકુંડલા રૂરલ, રાજકોટ શહેરના આજીડેમ અને બી ડિવિઝન, જુનાગઢના વંથલી તેમજ ઇન્દોરના કનાડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 7 ગુનાઓમાં નાસતો ફરતો હતો. આ શખ્સ પહેલા મોટરસાયકલ ચોરી કરીને રાત્રિના સમયે શહેરો અને ગામોની સોસાયટીઓમાં ફરી બંધ મકાનોની રેકી કરતો હતો. બાદમાં લોખંડના કટર જેવા સાધનો વડે તાળા તોડી ઘરફોડ ચોરી કરીને દિવસ દરમિયાન નજીકના વાડી વિસ્તારમાં છુપાઈ રહેતો હતો. તપાસ દરમિયાન મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના બડી કદવાલ ગામેથી બળવંત ગુલાબસિંહ બધેલને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

ફરિયાદ:દ્વારકામાં પરિવાર પર પાઈપ, ધોકા વડે હુમલો

યાત્રાધામ દ્વારકા શહેરના નારસંગ ટેકરી વિસ્તારમાં બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પરીવાર પર પાઇપ અને ઘોકા વડે હુમલો કરી ઇજા પહોચાડયાની ફરીયાદ છ શખસો સામે નોંધાઇ છે.ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા.પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી હુમલાખોરને પકડી પાડવા તપાસ શરૂ કરી છે. મળતી વિગત અનુસાર દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા જુમાભાઈ અલાનાભાઈ ઈસબાણી અને તેમના પરિવારજનો સાથે કોઈ બાબતે બોલાચાલી બાદ પરિસ્થિતિ ઉગ્ર બની હતી. આ બોલાચાલી દરમ્યાન વસીમ મામદ સમા, દિલાવર ઈબ્રાહીમ સમા, જુમા ઈબ્રાહીમ સમા, સોહીલ રજાક ઈસબાણી, મામદ અલી સમા અને આસિફ મામદ સમા સહિતના છ શખ્સોએ ગાળો ભાંડી હતી જે બાદ આરોપીઓએ લોખંડના પાઈપ તથા લાકડાનાધોકા વડે હુમલો કરી બેફામ મારપીટ કરી, જેના કારણે પીડિતોને ઇજાઓ પહોંચ્યાનો બનાવ બહાર આવ્યો છે. આ બનાવ અંગે ઇજાગ્રસ્તની ફરીયાદના આધારે દ્વારકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.આ સમગ્ર મામલે પી.એસ.આઈ. આર.એલ. ચોપડા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે જરૂરી કાર્યવાહી ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:યુદ્ધ ખતમ કરવા આજે પાકિસ્તાનમાં મહત્વની મિટિંગ; શાહે કહ્યું- મમતા તેના ભત્રીજાને CM બનાવવા માગે છે, દાવો- વોટ્સએપ પ્રાઈવેટ મેસેજ વાંચી શકે છે

નમસ્તે, પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન યુદ્ધ રોકવાને લઈને બેઠક આજે છે, પરંતુ કદાચ વાત બની ન શકે. કારણ કે લેબનોનમાં થઈ રહેલા ઈઝરાયલી હુમલાઓથી ઈરાન નારાજ છે. બીજી તરફ, યુપીમાં 2 કરોડ મતદારોના નામ કાપી નાખવામાં આવ્યા છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે મસ્કે કેમ કહ્યું કે વોટ્સએપ તમારા પ્રાઈવેટ મેસેજ વાંચી રહ્યું છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. 2. ભાજપ દેશભરમાં મહિલા અનામત બિલના સમર્થનમાં મહિલા સંમેલનો યોજશે. કાલના મોટા સમાચારો 1. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વેન્સ પાકિસ્તાન જવા રવાના:કહ્યું- ઈરાન રમત ન રમે, ઈમાનદારીથી વાત કરે; હજી સુધી પાકિસ્તાન નથી પહોંચ્યું ઈરાનનું ડેલિગેશન અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ ઈરાન સાથે મહત્વપૂર્ણ વાટાઘાટો માટે પાકિસ્તાન રવાના થયા છે. રવાના થતાં તેમણે ઈરાનને પ્રામાણિકપણે વાતચીત કરવા અને કોઈ રમત ન રમવા વિનંતી કરી. વેન્સે જણાવ્યું હતું કે જો તેહરાન સદ્ભાવનાથી વાતચીત કરે છે તો અમેરિકા ખુલ્લી વાતચીત માટે તૈયાર છે. જો કે, જો તેહરાન ચાલાકી કરવાનો પ્રયાસ કરે છે, તો અમે કડક વલણ અપનાવશું. બંને દેશો વચ્ચે ઇસ્લામાબાદમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, બેઠક પહેલા અનિશ્ચિતતા રહેલી છે કારણ કે ઈરાની પ્રતિનિધિમંડળ હજુ પાકિસ્તાન પહોંચ્યું નથી. રિપોર્ટ અનુસાર, ઈરાન લેબનોનમાં ચાલી રહેલા ઇઝરાયલી હુમલાઓથી ગુસ્સે છે અને વાટાઘાટો અંગે કડક વલણ અપનાવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. યમુનામાં બોટ પલટી, 10 પ્રવાસીઓનાં મોત:લાઈફ જેકેટ નહોતા પહેર્યા, મદદ માટે સેના પહોંચી; તમામ પંજાબના રહેવાસી હતા મથુરાના વૃંદાવનમાં યમુના નદીમાં 30 પ્રવાસીઓને લઈ જતી ખાનગી બોટ પલટી ગઈ. આ દુર્ઘટનામાં 10 પ્રવાસીઓ ડૂબી ગયા. જેમાં 7 મહિલાઓ અને 3 પુરુષોનો સમાવેશ થાય છે. મૃતકોમાં એક પતિ-પત્ની અને એક પિતા-પુત્રીનો સમાવેશ થાય છે. બોટ પર સવાર તમામ પ્રવાસીઓ બાંકે બિહારી ક્લબના સભ્યો હતા અને પંજાબથી દર્શન કરવા આવ્યા હતા. ડીએમ ચંદ્ર પ્રકાશ સિંહે જણાવ્યું હતું કે, શ્રી બાંકે બિહારી મંદિરથી લગભગ 2 કિમી દૂર કેસી ઘાટ પર બપોરે 3 વાગ્યે આ અકસ્માત થયો હતો. રાહત અને બચાવ કામગીરી માટે સેના પહોંચી ગઈ છે. ગાઝિયાબાદથી એનડીઆરએફની ટીમ પણ વૃંદાવન પહોંચી ગઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. જસ્ટિસ યશવંત વર્માએ રાજીનામું આપ્યું:ઘરમાં 500ની નોટોના બંડલ બળેલા મળ્યા હતા, સુપ્રીમ કોર્ટની તપાસમાં દોષિત, સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. 14 માર્ચ 2025 ના રોજ તેમના દિલ્હી સ્થિત ઘરમાં લાગેલી આગમાં 500-500ની નોટોના બંડલ બળેલા મળ્યા હતા. આ વિવાદ બાદ તેમને દિલ્હી હાઈકોર્ટથી અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. તેમણે 5 એપ્રિલ 2025ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટમાં શપથ લીધા હતા. જોકે, તેમને કોઈ જવાબદારી સોંપવામાં આવી ન હતી. જ્યાં સુધી તેમની સામે ચાલી રહેલી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેમને ન્યાયિક કાર્યોથી દૂર રાખવામાં આવ્યા હતા. જસ્ટિસ વર્માએ રાષ્ટ્રપતિને રાજીનામું ક્યારે મોકલ્યું તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ મીડિયામાં આ માહિતી શુક્રવારે આવી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. વોટ્સએપ તમારા પ્રાઇવેટ મેસેજ વાંચી રહ્યું છે:મસ્કે કહ્યું- આ વિશ્વાસપાત્ર નથી, ટેલિગ્રામ CEOએ એન્ક્રિપ્શનને ફ્રોડ ગણાવ્યો; કોર્ટ પાસેથી વળતરની માગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના માલિક ઇલોન મસ્ક અને ટેલિગ્રામના CEO પાવેલ ડુરોવે વોટ્સએપની પ્રાઇવસી પર સવાલો ઉઠાવ્યા છે. મસ્કે કહ્યું કે વોટ્સએપ પર ભરોસો કરી શકાય નહીં. આ વિવાદ અમેરિકામાં વોટ્સએપ વિરુદ્ધ દાખલ કરાયેલા નવા ક્લાસ એક્શન મુકદ્દમા પછી શરૂ થયો છે. અમેરિકાની એક અદાલતમાં દાખલ કરાયેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે વોટ્સએપ તેના યુઝર્સના મેસેજને વચ્ચેથી જ ઇન્ટરસેપ્ટ કરે છે. કંપની દાવો કરે છે કે તેના મેસેજ 'એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ' છે, એટલે કે મોકલનાર અને મેળવનાર સિવાય કોઈ ત્રીજો તેમને વાંચી શકતો નથી. જોકે, મુકદ્દમા મુજબ મેટા આ મેસેજને એક્સેન્ચર જેવી ત્રીજી પાર્ટીઓ સાથે શેર કરી રહ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. શાહે કહ્યું- મમતા ભત્રીજાને સીએમ બનાવવા માગે છે:લોકોની પરેશાનીની પરવાહ નથી; મમતાએ કહ્યું- સાપ પર ભરોસો કરજો, ભાજપ પર નહીં ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે પશ્ચિમ બંગાળના ડેબ્રામાં એક જાહેર સભાને સંબોધતા કહ્યું કે મમતા બેનર્જીને બંગાળના લોકોની પરવા નથી. તેમને ફક્ત તેમના ભત્રીજા અભિષેક બેનર્જીને આગામી મુખ્યમંત્રી બનાવવામાં રસ છે. આ દરમિયાન, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉત્તર 24 પરગણાના તેંતુલિયામાં એક ચૂંટણી રેલી યોજી હતી. તેમણે કહ્યું, સાપ પર વિશ્વાસ કરી શકાય છે, પરંતુ ભાજપ પર નહીં. શુક્રવારે, ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ માટે પોતાનો મેનિફેસ્ટો એટલે વિશ્વાસ પત્ર બહાર પાડ્યો. તેણે મહિલાઓ માટે દર મહિને ₹3,000, યુવાન બેરોજગારો માટે દર મહિને ₹3,000, પહેલા છ મહિનામાં UCC લાગુ કરવાની અને 45 દિવસમાં સરકારી કર્મચારીઓ માટે સાતમો પગાર ધોરણ જાહેર કરવાની જાહેરાત કરી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ઢોસાના ખીરાથી બે બાળકીના મોત કેસમાં પિતાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ:વિમલને ચાંદખેડા પોલીસ સ્ટેશન લવાયો, પૂછપરછમાં BP હાઇ થઈ જાય છે અમદાવાદના ચાંદખેડાના મારુતિ પ્લાઝામાં ઢોસા ખાધા બાદ બે બાળકી(રાહા અને મિશ્રી)નાં શંકાસ્પદ મોત થવાની ઘટનામાં રોજ નવા નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકીના પિતા વિમલ પ્રજાપતિ અને માતા ભાવનાના બ્લડ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ નામનું ઝેરી તત્ત્વ મળ્યું હતું. પોલીસે ભાવનાની ઘરે તપાસ કરતા ત્યાંથી એક ડાયરી મળી છે, જેમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હોવાનો ઉલ્લેખ મળી આવ્યો છે. તેમજ શિવ મંદિરની માનતા રાખી હતી. તેને મિશ્રી નામની એક પુત્રી હતી અને બીજી દીકરીનો પણ જન્મ થયો એ પહેલાની આ ડાયરી છે.આ કેસમાં પારિવારિક ઝગડા,આર્થિક સંકડામણ, પુત્ર પ્રાપ્તિની ઈચ્છા કે અન્ય કોઈ કારણ હોય શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. પૂર્વ મેયરને ભાજપની ઓફિસમાંથી ધક્કા મારી બહાર કાઢ્યા:બીજેપી સત્તાના નશામાં ચૂર, ભરત બારડે કહ્યું- પાર્ટી કોઈના બાપની નથી, અમે બનાવી છે પંચાયત-પાલિકાની ચૂંટણી વચ્ચે ભાજપનો ઘરનો ઝઘડો જાહેરમાં સામે આવ્યો છે. ભાવનગરના પૂર્વ મેયર ભરત બારડ આજે (10 એપ્રિલ) શહેર ભાજપ કાર્યાલયે ગયા તો તેમને અંદર જવામાં દેવામાં આવ્યા નહોતા. ઓફિસમાં હાજર લોકોએ તેમને ખભે હાથ મૂકી ધક્કા મારીને બહાર કાઢ્યા હતા. ભારે ગુસ્સા સાથે ભરત બારડ કાર્યાલયની બહાર આવ્યાં હતા અને પાર્કિંગમાં સ્કૂટર લઈને જતી વખતે બોલ્યા કે, પાર્ટી કોઈના બાપની નથી, અમે બનાવી છે. બધા આડા પડ્યા કે, ઓફીસમાં ન જાવ પ્રમુખ પાસે અને પછી ત્યાથી નીકળી ગયાં હતાં. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : MP-UPમાં તાપમાન 6C થી 10C સુધી વધી શકે છે:રાજસ્થાનમાં 40Cથી વધુ થવાની શક્યતા; હિમાચલમાં સામાન્ય કરતાં 200% વધુ વરસાદ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : એપ્સ્ટીન મામલે મેલાનિયા ટ્રમ્પનો બાટલો ફાટ્યો:કહ્યું- મને દોષિત જાતીય અપરાધી સાથે જોડતા જૂઠાણાંથી દૂર રાખો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : હિમાચલમાં મણિમહેશ યાત્રા પર પ્રતિબંધ:પરિક્રમા સ્થળ પર પોલીસ તૈનાત, વિશેષ દેખરેખના આદેશ; ધણછોથી આગળ જવા પર પ્રતિબંધ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ઈરાન યુદ્ધ યુદ્ધવિરામ- પાકિસ્તાની PMને નોબેલ આપવાની માગ:PAKની પંજાબ વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ, ધારાસભ્યો બોલ્યા- સેના પ્રમુખને પણ નોમિનેટ કરો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ચાંદી આજે ₹4855 વધીને ₹2.41 લાખ પર પહોંચી:સોનું ₹368 મોંઘું થઈને 1.50 લાખને પાર થયું, આ વર્ષે ₹17 હજાર ભાવ વધ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : MATCH મસાલા : ચહલે દારૂ છોડી દીધો?:રોહિતે મેદાનમાં જ ભજ્જીને ઉઠાવ્યો, દિગ્વેશે દગાબાજી કરી, ગોએન્કાએ વિનરને વ્હાલ કર્યું વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : પૂજામાં પરિક્રમા કરવાનું મહત્ત્વ:જાણો પ્રદક્ષિણા પાછળનો ધાર્મિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, પરિક્રમા કરતી વખતે કયા મંત્રનો જાપ કરવો વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ફોન ચોરવા ફ્લાઈટમાં આવતા હતા ચોર ગુજરાત પોલીસે એવા ચોરોની ધરપકડ કરી છે, જેઓ ફ્લાઈટ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જઈને ચોરી કરતા હતા. બે આરોપીઓ પાસેથી 21 મોબાઈલ મળી આવ્યા છે. આ ચોરો ક્રિકેટ સ્ટેડિયમ, મેટ્રો, રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ જેવા વિસ્તારોમાં સક્રિય હતા. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ : આસારામે પોલીસની ટીમ પર જ હલ્લાબોલનો પ્લાન બનાવ્યો!: પોલીસ JCBથી આશ્રમની દીવાલ તોડીને પાછલા બારણેથી આસારામને અરેસ્ટ કરીને લઈ ગઈ; જુઓ સિરીઝનો એપિસોડ-32 2. આજનું એક્સપ્લેનર:શું PAKમાં ઈરાની નેતાઓના જીવને જોખમ છે, મીટિંગમાં કોણ-કોણ સામેલ થશે; આખરે ઈઝરાયલ સમજૂતી કેમ નથી ઈચ્છતું 3. ફિલ્મી ફેમિલી : એક્ટરે વાજપેયીના મોંમાંથી જીત છીનવી:પત્નીનું મોત થતાં દીવાલે માથું પછાડતાં, બંગલો દુર્ભાગી બન્યો! પાર્થિવ દેહ પર લાલ ઝંડો કેમ? 4. માલ્ટાના વડાપ્રધાનના પત્ની ગુજરાતી યુવાનને ભેટી પડ્યા:પગપાળા 20 દેશમાં ફરી 12 હજાર કિલોમીટર કાપશે, ઇટલીમાં ડ્રગ્સ એડિક્ટ પાછળ પડ્યાં ત્યારે શું થયું? 5. મિશન ‘અમરતા’:લાંબુ અને સ્વસ્થ જીવન જીવવું શકય છે? માર્કેટમાં આવી ગઈ છે ઘડપણ રોકવાની નવી તકનીકો 6. મહિલાઓ માટે પેશાબ રોકવું ખતરનાક!:UTIથી લઈને કિડની ફેલ્યોર સુધીના જોખમો; જાણો ટોઇલેટ હાઇજીનની 11 ટિપ્સ કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: તુલા રાશિના લોકો માટે લાભદાયી દિવસ, વૃશ્ચિક રાશિના જાતકોને સંતાન સુખની પ્રાપ્તિ થશે; મીન રાશિની સફળતાનો સૂર્યોદય (સંપૂર્ણ રાશિફળ વાંચો)

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:00 am

એ તારી વાઇફ જોડે વાત કરે છે, શું પ્રોબ્લેમ છે?:વડોદરામાં વેપારીને ચાકુ બતાવી અપહરણ કરી મોબાઈલ, એટીએમ કાર્ડ, રોકડા રૂપિયા લૂંટી લીધા, કેનાલમાં ફેંકીને હત્યાનો પ્રયાસ, માંડ માંડ જીવ બચાવ્યો

વડોદરા શહેરમાં એક પાન પાર્લરના વેપારીની એકટીવા સાથે અકસ્માત કર્યા બાદ 5 શખ્સ દ્વારા કારમાં અપહરણ કરવામાં આવ્યું હતુ. ચાકુ બતાવીને વેપારી પાસેથી મોબાઈલ, પર્સ સાથે રોકડ રકમ અને ATM કાર્ડ લૂંટી લીધું હતુ. ત્યારબાદ ATM દ્વારા 1 લાખ રૂપિયા ઉપાડ્યા હતા. છેવટે આણંદ જિલ્લાના સોજીત્રા નજીક કેનાલમાં ફેકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવકે 5 લૂંટારૂ વિરુદ્ધ છાણી પોલીસ સ્ટેશનના ફરિયાદ નોંધાવી છે. જેને આધારે છાણી પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. છાણી પોલીસે ગણતરીના કલાકોમાં પાંચ આરોપીની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતા અને હરણી વિસ્તારમાં પાન પાર્લરની દુકાન ચલાવતા વેપારીએ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે 8 એપ્રિલના રોજ રાત્રે તેઓ હરણી વિસ્તારમાં પોતાની દુકાન બંધ કરી એક્ટીવા પર ઘરે જઈ રહ્યા હતા, ત્યારે છાણી-સોખડા રોડ પર ગીરીરાજ સ્કૂલ પાસે એક સફેદ સ્વિફ્ટ કાર દ્વારા અકસ્માત કર્યો હતો. અકસ્માત બાદ કારમાંથી ઉતરેલા શખ્સોએ ગીરીશભાઈને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. ત્યારબાદ આરોપીઓએ હથિયાર બતાવીને તેમનો મોબાઈલ, પર્સ તથા રોકડ કબજે કરી ત્યારબાદ એટીએમનો પિન નંબર મેળવી લીધો હતો. આરોપીઓએ શહેર અને હાઈવે પર અલગ અલગ સ્થળોએ લઈ જઈ 1 લાખ રૂપિયા જેટલી રકમ ઉપાડી લીધી હતી અને આણંદ જિલ્લાના સોજીત્રા નજીક કેનાલ પર લઈ જઈ પુલ પરથી પાણીમાં ફેંકી દીધા હતા. સદનસીબે વેપારી પિલરને પકડી જીવતા બચી ગયા હતા અને સવાર સુધી છુપાઈ રહ્યા પછી સ્થાનિકોની મદદથી પરિવારને જાણ કરી ઘરે પરત ફર્યા હતા. સમગ્ર બનાવ અંગે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા 5 શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અપહરણકારો વેપારી યુવકને સોજીત્રા નજીક કેનાલ પર લઈ ગયા હતા. ત્યાં કારમાંથી નીચે ઉતાર્યા બાદ તેને પુલ પરથી જીવતા કેનાલમાં પાણીમાં ફેંકી દીધો હતો. જોકે સદનસીબે યુવક પિલરને પકડીને લટકી રહ્યો હતો. અપહરણ કરો ગયા બાદ યુવક પાણીમાંથી બહાર આવ્યો અને રાત્રે અંધારામાં છુપાઈ રહ્યો હતો. સવારમાં સ્થાનિકોની મદદ મેળવી પોતાના પરિવારને જાણ કરતા તેઓ તેમને લેવા માટે આવી પહોંચ્યા હતા.વેપારી યુવકે જણાવ્યું હતું કે, કારમાં પાછળની સીટ પર બેઠેલા એક લૂંટારૂએ મને પુછયુ કે તુ કૌશિકને ઓળખે છે, તે તારી વાઇફ જોડે વાત કરે છે, તો તને શું પ્રોબ્લેમ છે? અને પછી મને જ્યારે ગાડીમાં ફેરવતા હતા ત્યારે બે લોકો તેઓના મોબાઇલ ફોન પર વાતચીત કરતા હતા કે, આને ઉપાડી લીધો છે અને આને આજે પુરો કરી દઈશું પછી તે વખતે મારી બાજુમાં બેસેલ શખ્સે કોઈને ફોન કરી અને તેના એકાઉન્ટમાં રુપિયા 25 હજાર નાખવાની તથા ગાડી ચલાવનારે પણ કોઈને ફોન પર તેના એકાઉન્ટમાં 20 હજાર નાખવાની વાત કરી હતી. પકડાયેલા આરોપીઓના નામ (1) કૌશીકભાઇ મહેન્દ્રભાઇ શર્મા ઉ.વ.૩૨ ધંધો.હેર સલુન રહે મોટી કેનાલ પાસે બામરોલી ગામ તા. વસો જી.ખેડા (2) નીલકંઠ ઉર્ફે નાથીયો જીતેંદ્રભાઇ બારૈયા ઉ.વ.-૨૮ ધંધો.-સાઉન્ડ સીસ્ટમ (ડી.જે) રહે.-લારાપટેલની વાડી પાસે, જુની ગોલવાડ,વસો ગામ તા.-વસો જી.-ખેડા (3) ઉમંગ ઉર્ફે શુટર ભાવેશભાઇ પ્રજાપતિ ઉ.વ.-૨૧ ધંધો-નોકરી રહે.-મ.નં.-બી-૨૧,પૃથ્વી પાર્ક સોસાયટી,ગીતાંજલી ચોકડી તથા રામાપીરના મંદિરની બાજુમા. નડીયાદ, તા.નડીયાદ જી.ખેડા (4) ગોવિંદભાઇ રણછોડભાઈ ભોઈ ઉ.વ.૩૮ ધંધો.ખાંનગી નોકરી હાલરહે.- પશુ દવાખાનાની સામે, પુનીત આશ્રમ ની બાજુમા, ડાકોર તા.ઠાસરા જી.ખેડા મુળ રહે.-દુધની ડેરી પાસે ભોઇવાડા, વસો ગામ, તા.વસો જી.ખેડા (5) પૃથ્વી ઉર્ફે પીકે ખોડાભાઈ ભોઈ ઉ.વ.-૨૫ ધંધો-ખાનગી નોકરી હલ રહે.-ખોડીયાર સોસાયટી વસો ગમના ગેટ પાસે વસો તા.વસો જી.ખેડા મુળ રહે ભોઇવાસ રાસ ગામ તા. બોરસદ જી.આણંદ

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 12:33 am

પૂર્વ મેયરને ભાવનગર નેતાઓએ ધક્કા મારી કાઢ્યા, CMએ મળવા બોલાવ્યા:ભરત બારડને ઓફિસમાં જતા રોક્યા હતા, ગાંધીનગર મુલાકાત પછી કહ્યું-'મોવડી મંડળ સમક્ષ મેં મારી વાત મૂકી છે'

ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ મેયર ભરતભાઈ બારડ અને પક્ષના મહામંત્રીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીની ઘટના બનતા રાજકીય ગરમાવો સર્જાયો હતો. શહેર પ્રમુખને મળવા જઈ રહેલા પૂર્વ મેયરને મહામંત્રીઓએ અટકાવતા વિવાદ વકર્યો હતો. આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ પૂર્વ મેયરે ગાંધીનગરથી તેંડુ આવતા રાજ્યના શીર્ષ નેતૃત્વ સાથે મુલાકાત કરી મામલો થાળે પાડ્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો હતો. શું છે સમગ્ર ઘટના?ભરતભાઈ બારડ જ્યારે શહેર પ્રમુખની ઓફિસમાં પ્રવેશ કરી રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર ત્રણ મહામંત્રીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મહામંત્રીઓએ પૂર્વ મેયરનું બાવડું પકડતા મામલો બિચક્યો હતો. આ અપમાનજનક વર્તનથી રોષે ભરાયેલા ભરતભાઈ બારડે જાહેરમાં આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આ કોઈના બાપની પેઢી નથી, આ પાર્ટી અમે બનાવી છે. ભરતભાઈ બારડને ગાંધીનગરથી તેડુંઆ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ તુરંત જ ગતિવિધિઓ તેજ થઈ હતી અને ભરતભાઈ બારડને ગાંધીનગરથી તેડું આવ્યું હતું. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે રૂબરૂ મુલાકાત કરી સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. મોવડી મંડળ સાથેની આ બેઠકમાં સ્થાનિક રાજકીય પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. 'ભાજપને મોટી લીડથી જીતાડવાની છે'શીર્ષ નેતૃત્વ સાથેની મુલાકાત બાદ ભરતભાઈએ સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મોવડી મંડળ સમક્ષ મેં મારી વાત મૂકી છે અને ચર્ચાથી મને સંપૂર્ણ સંતોષ છે. ​હું પાર્ટીનો પાયાનો કાર્યકર છું અને ભાજપના સિદ્ધાંતોને વરેલો છું, ​તમામ વિવાદો પર પૂર્ણવિરામ મૂકતા તેમણે કાર્યકર્તાઓને એકઠા થઈને ભાજપને મોટી લીડથી જીતાડવા માટે કામે લાગી જવા વિનંતી કરી છે. મેયરની ટર્મ પૂર્ણ થતા જ ભરત બારડ વેલ્ડિંગ કામમાં વળગ્યા​મેયર પદની ટર્મ પૂર્ણ થતાની સાથે જ ભરત બારડએ કોઈ પણ જાતના દેખાડા વગર શહેરના વડવા વિસ્તારમાં આવેલી પોતાની જૂની વેલ્ડિંગની દુકાન ફરી શરૂ કરી દીધી છે. તેઓ એક સામાન્ય કારીગરની જેમ દુકાને બેસીને લોખંડના કામમાં વ્યસ્ત જોવા મળ્યા છે. ભરત બારડ અઢી વર્ષ સુધી ભાવનગરના મેયર રહ્યા. તેઓ ભાવનગરના ગાયત્રીનગર વિસ્તારમાં ભાડાના ઘરમાં રહે છે. વેલ્ડિંગનો જે વ્યવસાય છે તે પણ એક કેબિનમાં ચાલે છે. મેયરનો કામ કરતા જોઈને સોશિયલ મીડિયામાં લોકો કહી રહ્યા છે કે સત્તા આવે અને જાય પણ માણસાઈ અને પોતાની જમીન સાથે જોડાયેલા રહેવું એ જ સાચી સફળતા છે. (સંપૂર્ણ અહેવાલ માટે ક્લિક કરો)

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 12:05 am

મહેસાણા મનપાના ભાજપના ઉમેદવારો જાહેર:જિલ્લા ભાજપ કાર્યાલયના પટાવાળાને વોર્ડ-13માંથી ટિકિટ, નગરપાલિકામાં ભાજપની ‘નો-રિપીટ’ થિયરી; 9 જૂના જોગીઓ રિપીટ

આગામી મહેસાણા નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત મોડી સાંજે કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપે આ વખતે સત્તાવિરોધી લહેરને ખાળવા અને સંગઠનને મજબૂત કરવા માટે 'નો-રિપીટ' થિયરી અપનાવી હોય તેમ જણાય છે. મોટાભાગની બેઠકો પર નવા અને યુવા ચહેરાઓને મેદાને ઉતારી ભાજપે આશ્ચર્ય સર્જ્યું છે. જ્યારે જૂના નગરસેવકોમાંથી માત્ર ગણ્યાગાંઠ્યા સભ્યો પર જ ફરી વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. માત્ર 9 નગરસેવકોને જ રિપીટ ટિકિટનગરપાલિકાના ગત ટર્મના કુલ સભ્યોમાંથી ભાજપે આ વખતે માત્ર 9 નગરસેવકોને જ રિપીટ ટિકિટ આપી છે. રિપીટ થનારા મુખ્ય નામોમાં ટીનભા ઠાકોર, દિનેશ પટેલ, દીપક પટેલ અને મિતલ પ્રજાપતિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહિલા પ્રતિનિધિ તરીકે ભારતીબેન પંકજભાઈ ઠાકોર અને અસ્મિતાબેન અલ્પેશભાઈ પટેલને ફરીથી તક આપવામાં આવી છે. જિલ્લા ભાજપ કાર્યાલયના પટાવાળાને વોર્ડ-13માંથી ટિકિટ આપીભાજપે મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલયમાં છેલ્લા 28 વર્ષથી નિષ્ઠાપૂર્વક પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ભીલને વોર્ડ નંબર 13 માંથી ટિકિટ આપીને સન્માનિત કર્યા છે. આ સાથે જ સંગઠન પ્રત્યેની સમર્પિતતાને ધ્યાને રાખીને ભાજપ કાર્યાલય મંત્રી જયેશ પ્રજાપતિના પત્ની નયનાબેન પ્રજાપતિને પણ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. સામાન્ય કાર્યકર અને કાર્યાલયના સેવકને પ્રતિનિધિત્વ આપી ભાજપે ટિકિટ વિતરણમાં આ વખતે એક નવો જ અભિગમ અપનાવ્યો હોય તેમ જણાય છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 11:25 pm

જામનગરમાં ભાજપે આયાતી ઉમેદવારોને આપ્યું મહત્વ:પૂર્વ મેયર, પૂર્વ ડેપ્યુટી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પૂર્વ શાસક પક્ષના નેતા અને પૂર્વ દંડક અને દિગ્ગજોની ટિકિટ કપાઈ

જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરતા જ શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પક્ષ માટે વર્ષોથી કાર્યરત ઘણા દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાઈપક્ષે 'નો-રિપીટ થિયરી' અથવા નવા સમીકરણોના આધારે અનેક સક્ષમ નેતાઓને ટિકિટ આપી નથી. ટિકિટ ગુમાવનારાઓમાં પૂર્વ મેયર વિનોદ ખીમસુરીયા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, પૂર્વ ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના દંડક કેતન નાખવા અને પૂર્વ શાસક પક્ષના નેતા ધર્મરાજસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાતા જામનગર ભાજપના આંતરિક માળખામાં હલચલ મચી ગઈ છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલાને ટિકિટઆ ટિકિટ વિતરણમાં પક્ષે પાયાના કાર્યકરોને બદલે 'આયાતી' ઉમેદવારો પર વધુ ભરોસો મૂક્યો હોવાની ચર્ચા છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કેટલાક પૂર્વ કોર્પોરેટરોને તાત્કાલિક ટિકિટ આપવામાં આવી છે. સક્રિય સભ્ય નથી તેવાને અને અન્ય વોર્ડના નેતાને ટિકિટવધુમાં, કેટલાક વોર્ડમાં એવા ચહેરાઓને ટિકિટ મળી છે જેઓ પક્ષના સક્રિય સભ્ય નથી અથવા જે તે વોર્ડમાં ક્યારેય કાર્યરત રહ્યા નથી. અમુક ઉમેદવારોને તેમના મૂળ વિસ્તારને બદલે અન્ય વોર્ડમાંથી લડાવવા માટે ટિકિટ આપવામાં આવતા સ્થાનિક કાર્યકરોમાં પણ ગણગણાટ શરૂ થયો છે. ટિકિટ વિતરણને લઈને ભારે નારાજગીવર્ષોથી ભાજપ સાથે જોડાયેલા નિષ્ઠાવાન કાર્યકરોમાં આ ટિકિટ વિતરણને લઈને ભારે નારાજગી પ્રવર્તી રહી છે. કાર્યકરોનું માનવું છે કે સંગઠનને મજબૂત કરનારા નેતાઓની અવગણના કરીને બહારથી આવેલા લોકોને મહત્વ આપવું પક્ષ માટે જોખમી સાબિત થઈ શકે છે. આ પરિસ્થિતિમાં, ભાજપના આંતરિક અસંતોષ અને દિગ્ગજોની બાદબાકી વચ્ચે જામનગર મહાનગરપાલિકામાં પક્ષનું પ્રદર્શન કેવું રહેશે તે જોવું રહ્યું. વિપક્ષી દળો જેવા કે કોંગ્રેસ, AAP અને BSP આ નારાજગીનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરી શકે છે. જામનગર જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારોની યાદી જામનગરની 6 તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોની યાદી

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 11:18 pm

સુરત મનપા BJPના ઉમેદવારોનું લિસ્ટ જુઓ, કોણ કપાયા કોણ રિપિટ!:પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાનું પત્તું કપાયું, અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યાને વોર્ડ નં. 3માંથી ટિકિટ

સુરત મનપાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખરે 104 ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ યાદીમાં અનેક દિગ્ગજ અને નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે, જેમાં ખાસ કરીને પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા પટેલને વોર્ડ નંબર 3 માંથી ટિકિટ આપીને ભાજપે મોટું રાજકીય સમીકરણ સાધ્યું છે. આ ઉપરાંત, શહેરના પૂર્વ મેયર દક્ષેશ માવાણી પર ફરી એકવાર વિશ્વાસ મૂકી તેમને પણ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપના આ લિસ્ટમાં જૂના જોગીઓ અને યુવા લોહીનું મિશ્રણ જોવા મળી રહ્યું છે, જેના કારણે સુરતના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વોર્ડ નંબર 4, 23, અને 24ના ઉમેદવારોની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. પક્ષપલટુઓ અને પૂર્વ મેયરની ટિકિટ કપાઈઆપમાંથી આવેલા 12 પૂર્વ કોર્પોરેટરોને ભાજપે ડાબેરી દેખાડ્યા. વર્ષ 2021ની સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નિશાન પરથી જીત્યા બાદ કેસરીયો ધારણ કરનારા 12 પૂર્વ કોર્પોરેટરોને ભારતીય જનતા પાર્ટીએ આંચકો આપ્યો છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી 120 ઉમેદવારોની પ્રથમ યાદીમાં આ પક્ષપલટુ પૂર્વ કોર્પોરેટરો પૈકી એક પણ નામનો સમાવેશ કરવામાં આવ્યો નથી. પક્ષે જૂના અને વફાદાર કાર્યકરો પર પસંદગી ઉતારીને પક્ષ પલટો કરનારાઓને સ્પષ્ટ સંદેશ આપ્યો હોય તેમ જણાય છે. પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાનું પત્તું કપાયું, રાજકારણમાં ગરમાવોભાજપની આ પ્રથમ યાદીમાં સૌથી મોટું આશ્ચર્ય પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાની ટિકિટ કપાતા જોવા મળ્યું છે. શહેરના પ્રથમ નાગરિક રહી ચૂકેલા બોઘાવાલાને આ વખતે પડતા મૂકવામાં આવ્યા છે. વિવાદિત ચહેરો બનેલા પૂર્વ કોર્પોરેટર વિક્રમ પાટીલના પુત્રવધૂ સુષ્મા પાટીલને ટિકિટઆરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન નેન્સી શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેનને ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મનીષાબેન આહીર, દિનેશ રાજપુરોહિત, બ્રિજેશ ઉનડકટ, હિમાંશુ રાહુલજી, અમિત રાજપુત, નરેન્દ્ર પાટીલ, ભાઈદાસ પાટીલ અને સુધા પાંડે સહિતના અગ્રણીઓને પાર્ટીએ રિપીટ કર્યા છે. બીજી તરફ, એસ.આઈ.આર. (SIR) ની કામગીરીમાં વિવાદિત ચહેરો બનેલા પૂર્વ કોર્પોરેટર વિક્રમ પોપટ પાટીલના પુત્રવધૂ સુષ્મા પાટીલને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 11:10 pm

ભાવનગર મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર:વોર્ડ-1માં પાયલ પંચાલ અને વોર્ડ-7માં દક્ષા ભટ્ટને ભાજપની ટિકિટ મળી, વોર્ડ-13માં રીંકુબેન માંગુકિયા અને પરેશ ચૌહાણ ભાજપના ઉમેદવાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. આજે 10 એપ્રિલે ભાજપે જાહેર કરેલી યાદીમાં 47 ઉમેદવારના નામ છે. જેમાં કુલ પાંચ વોર્ડમાં માત્ર 3 ઉમેદવાર તો બાકીના 8 વોર્ડમાં તમામ ચારેય ઉમેદવાર જાહેર કરી દીધા છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 10:16 pm

રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી:ટિકિટ કપાતા પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીનો વિરોધ, ભાજપ કાર્યાલયે સમર્થકોનો જંગી મોરચો, પ્રમુખ સહિતના હોદ્દેદારોએ સમજાવટથી મામલો થાળે પાડ્યો

રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવતાની સાથે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 13માં ઉમેદવારોના નામો જાહેર થતાની સાથે જ વિરોધ અને ઉત્સાહના બે વિરોધાભાસી દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ નવા જાહેર થયેલા ઉમેદવારોના સમર્થકોમાં ખુશીનો માહોલ હતો, તો બીજી તરફ ટિકિટ કપાતા પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીએ પોતાના સમર્થકો સાથે મોરચો માંડ્યો હતો. રાજકોટ શહેર ભાજપ દ્વારા વોર્ડ નંબર 13 માટે પંકજ લુણાગરિયા, મોહિતસિંહ જાડેજા, સોનલબેન સેલારા અને માધવીબેન બદ્રકીયાના નામ જાહેર કરવામાં આવ્યા છે. જાહેરાત થતાની સાથે જ વોર્ડના વિવિધ વિસ્તારોમાં કાર્યકર્તાઓએ આતશબાજી કરી અને ફટાકડા ફોડીને જશ્ન મનાવ્યો હતો. જોકે, આ ખુશીના માહોલની વચ્ચે પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીની ટિકિટ કપાતા પક્ષમાં આંતરિક અસંતોષની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. પોતાના મનગમતા નેતાની ટિકિટ કપાતા નીતિન રામાણીના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. નીતિન રામાણી 50 કરતા પણ વધુ સમર્થકો અને કાર્યકર્તાઓના મોટા કાફલા સાથે શહેર ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે પહોંચ્યા હતા. સમર્થકોએ નીતિનભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ ના નારા લગાવી આખું ભાજપ કાર્યાલય માથે લીધું હતું. અને ભાજપ કાર્યાલય ખાતે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. નીતિન રામાણીની જગ્યાએ પંકજ લુણાગરિયાને ટિકિટ આપવામાં આવતા કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. સમર્થકોની માગ હતી કે પાયાના કાર્યકર અને પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીને ફરી તક મળવી જોઈતી હતી. જોકે વિરોધ પ્રદર્શન વધતા ભાજપના સિનિયર આગેવાન પુષ્કર પટેલ આગળ આવ્યા હતા અને તેમણે નીતિન રામાણીને સમજાવટના પ્રયાસો શરૂ કર્યા હતા. ત્યારબાદ પુષ્કર પટેલ પૂર્વ કોર્પોરેટરને શહેર પ્રમુખ પાસે રજૂઆત માટે લઈ ગયા હતા. સમગ્ર મામલો થાળે પાડવા માટે ભાજપના ટોચના નેતાઓ દ્વારા તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, ધારાસભ્ય દર્શિતાબેન શાહ તેમજ મહામંત્રીઓની હાજરીમાં નીતિન રામાણી સાથે આશરે 15 મિનિટ સુધી બંધ બારણે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નેતાઓએ રામાણીની નારાજગી દૂર કરવા અને પક્ષના શિસ્તનું પાલન કરવા માટે સમજાવ્યા હતા. અને આખો મામલો હાલ પૂરતો થાળે પડ્યો હતો. જોકે આવનારી ચૂંટણીમાં આ વિરોધની કેવી અસર પડે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 10:08 pm

અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાનો મામલો:મૃતકના પુત્ર હરેશ પટેલે યુકેની AAIBને લખ્યો પત્ર, પ્રાથમિક અને મીડિયા રિપોર્ટિંગના આધારે કોઈ નિષ્કર્ષ પર ન પહોંચવાનો મળ્યો જવાબ

અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલા એર ઈન્ડિયા ફ્લાઇટ 171ના ભયાનક અકસ્માતને લગભગ એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. છતાં મૃતકોના પરિવારોમાં અસંતોષ અને પ્રશ્નો યથાવત્ છે. ખાસ કરીને બ્રિટનના નાગરિકોના પરિવારો હવે ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તેમને હજુ સુધી ઘટનાનું સંપૂર્ણ સત્ય જાણવા મળ્યું નથી. આ અકસ્માતમાં 279 સંખ્યામાં લોકોનાં મોત થયા હતા, જેમાં બ્રિટિશ નાગરિકો પણ સામેલ હતા. બ્રિટિશ નાગરિક હરેશ પટેલના પિતા કુબેરભાઈ અને માતા બેબીબેન પણ આ અકસ્માતનો ભોગ બન્યા હતા.હરેશ પટેલે યુકેની Air Accidents Investigation Branch (AAIB)ને પત્ર લખ્યો હતો. જેનો પ્રત્યુત્તર AAIB એ તેમને આપ્યો હતો કે, પ્રિય શ્રી પટેલ, 12 જૂન 2025ના અમદાવાદ (ભારત) ખાતે એર ઈન્ડિયા ફ્લાઇટ 171ના અકસ્માત અંગે તાજેતરમાં AAIBનો સંપર્ક કરવા બદલ આભાર. હું આ તપાસમાં AAIB ઈન્ડિયા માટે નિમાયેલ “Expert” છું. અકસ્માતની વર્ષગાંઠ નજીક આવી રહી છે, ત્યારે આપના નુકસાન માટે મારી હાર્દિક સંવેદના સ્વીકારશો. તમારા ઈમેલમાં તમે લખ્યું હતું કે AAIB ઈન્ડિયા તપાસમાં “Expert status” ધરાવે છે. આ સ્થિતિએ કારણે છે કે આ અકસ્માતમાં યુનાઇટેડ કિંગડમના નાગરિકોના મૃત્યુ થયા હતા, અને આ આંતરરાષ્ટ્રીય નિયમો (Annex 13 – Convention on International Civil Aviation) મુજબ છે. એક Expert તરીકે, મને અને મારી ટીમને અકસ્માત સ્થળની મુલાકાત લેવાનો અધિકાર હતો. અમને AAIB ઈન્ડિયા દ્વારા જાહેર કરવા માટે મંજૂર માહિતી મેળવવાનો અને અંતિમ રિપોર્ટની નકલ મેળવવાનો અધિકાર છે.પરંતુ, મને તપાસના ટેકનિકલ પાસાઓ વિશે માહિતી મેળવવાનો અધિકાર નથી. એટલે કે, યુનાઇટેડ કિંગડમ તમારા માગ્યા મુજબ સ્વતંત્ર ટેકનિકલ તપાસ કરી શકતું નથી. તમારા ટેકનિકલ પ્રશ્નો અંગે – પ્રાથમિક (preliminary) રિપોર્ટ હંમેશા અંતિમ નથી હોતો અને આગળની તપાસ બાદ તેમાં ફેરફાર થઈ શકે છે. અમેરિકાનો National Transportation Safety Board (NTSB) આ તપાસમાં સંપૂર્ણ રીતે જોડાયેલો છે, કારણ કે તે વિમાનના ડિઝાઇન અને ઉત્પાદન દેશનું પ્રતિનિધિત્વ કરે છે.NTSB અને તેની સલાહકાર કંપની Boeing એ ઉપલબ્ધ ટેકનિકલ માહિતીનું વિશ્લેષણ કર્યું છે અને તેમનું વિશ્લેષણ AAIB ઈન્ડિયાની તપાસમાં સામેલ કરવામાં આવ્યું છે. તેથી શક્ય છે કે આપના પ્રશ્નોના જવાબ અંતિમ રિપોર્ટમાં મળે. હું આપને સલાહ આપું છું કે માત્ર પ્રાથમિક રિપોર્ટ અથવા મીડિયા રિપોર્ટિંગના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચશો નહીં.હું સમજું છું કે અંતિમ રિપોર્ટ માટે રાહ જોવી આપ અને અન્ય પરિવારો માટે મુશ્કેલ છે, ખાસ કરીને જ્યારે ઘણા પ્રશ્નો બાકી હોય. મેં તાજેતરમાં AAIB ઈન્ડિયાને પૂછ્યું હતું કે રિપોર્ટ ક્યારે આવશે, પરંતુ તેમણે કોઈ તારીખ આપી નથી.આ પ્રકારના રિપોર્ટ તૈયાર થવામાં સમય લાગે છે, કારણ કે તપાસ સંસ્થાઓ સંપૂર્ણ અને વિગતવાર તપાસ કરવા માંગે છે, અને તેથી અગાઉથી ચોક્કસ તારીખ જણાવવી મુશ્કેલ હોય છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 9:51 pm

સુરતમાં ‘ભોલુ’ નામથી ફસાવનાર આરોપીને આજીવન કેદની સજા:15 વર્ષની કિશોરીને ઓળખ છુપાવી મિત્રતા કેળવી બિહાર ભગાડી ગયો'તો, કોર્ટે 10.50 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો

સુરતના પૂણા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટનામાં સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આરોપી જબીઉલ્લાહ આલમે પોતાની સાચી ઓળખ છુપાવી ‘ભોલુ’ નામ ધારણ કરી પડોશમાં રહેતી 15 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. હિન્દુ નામ ધારણ કરી કિશોરી સાથે મિત્રતા કેળવ્યા બાદ આરોપીએ તેણીનું જાતીય શોષણ કરવાનું શરૂ કર્યું હતું. આ કેસમાં સરકારી વકીલ યોગેશ પાટીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને કડક સજા ફટકારી છે. ગાર્ડનમાં દુષ્કર્મ ગુજારી બિહાર ભગાડી ગયો હતોકેસની વિગતો મુજબ આરોપી જબીઉલ્લાહ 19 વર્ષની ઉંમરનો હતો, ત્યારે તેણે સગીરાને લલચાવી ફોસલાવી હતી. જૂન 2025 પહેલા તે સગીરાને મહાનગરપાલિકાના ગાર્ડનમાં મળવા બોલાવતો હતો અને ત્યાં જ અનેકવાર તેની સાથે જબરજસ્તીથી શરીર સંબંધ બાંધ્યા હતા. ફક્ત એટલું જ નહીં, આરોપી આ કિશોરીનું અપહરણ કરીને તેને બિહાર લઈ ગયો હતો, જ્યાં પણ તેણે સગીરા પર સતત અત્યાચાર ગુજાર્યો હતો. નામ બદલીને છેતરપિંડી કરવી ગંભીર બાબતસેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવતી વખતે અત્યંત આકરી ટિપ્પણી કરી હતી. કોર્ટે નોંધ્યું કે, આરોપીએ ભોગ બનનાર સાથે સંબંધ કેળવવા માટે પોતાનું ખોટું નામ ધારણ કર્યું અને બાદમાં તેણીનું અપહરણ કર્યું, આ કૃત્ય અત્યંત ધૃણાસ્પદ છે. ખાસ કરીને ઓળખ છુપાવીને કરવામાં આવતા આવા ગુનાઓને સમાજ માટે જોખમી ગણાવી કોર્ટે સ્પષ્ટ કર્યું કે આવા ગંભીર અપકૃત્યને કોઈપણ સંજોગોમાં હળવાશથી લઈ શકાય નહીં. આરોપીને આજીવન કેદ અને 10.50 લાખનું વળતર ચૂકવવા હુકમબંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપી જબીઉલ્લાહ આલમને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. સજાની સાથે સાથે પીડિતાના પુનર્વસન માટે કોર્ટે આરોપીને રૂ. 10.50 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આ ચુકાદો એવા તત્વો માટે લાલબત્તી સમાન છે જેઓ ખોટી ઓળખ આપી સગીર વયની બાળકીઓને શિકાર બનાવે છે. સરકારી વકીલની દલીલો નિર્ણાયક સાબિત થઈઆ સમગ્ર કેસમાં સરકાર પક્ષે એપીપી યોગેશ પાટીલે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે કોર્ટ સમક્ષ પુરાવા રજૂ કરતા જણાવ્યું હતું કે આરોપીએ સોશિયલ એન્જિનિયરિંગ અને ઓળખની છેતરપિંડી દ્વારા એક માસૂમ કિશોરીનું જીવન બરબાદ કર્યું છે. કોર્ટે તમામ પુરાવા અને સંજોગોને ધ્યાને રાખીને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેતો ન્યાયી ચુકાદો આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 9:36 pm

RJ આભાને કોંગ્રેસે રાજકોટ મનપાની ટિકિટ આપી:બળવાના ડરે કોંગ્રેસે અંતિમ ઘડી સુધી યાદી જાહેર કરવાનું ટાળ્યું, ઉમેદવારોને સીધા મેન્ડેટ અપાશે

રાજ્યની 10 હજારથી વધુ પાલિકા-પંચાયતની બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આવતીકાલે (11 એપ્રિલે) અંતિમ દિવસ છે. ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા હોવા છતા કોંગ્રેસ દ્વારા સત્તાવાર યાદી જાહેર ન કરાતા દાવેદારોના હાર્ટબીટ વધ્યા છે. યાદી જાહેર થયા બાદ સંભવિત બળવાને ખાળવા માટે પાર્ટી દ્વારા આવતીકાલે તમામ ઉમેદવારોને મેન્ડેટ આપી સીધા ફોર્મ જ ભરાવી દેવામાં આવે તેવી શક્યતા છે. નોંધનયી છે કે, કોંગ્રેસ અત્યાર સુધીમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, સુરત, વડોદરા અને મોરબી મહાનગરપાલિકાના 243 ઉમેદવારોની એક જ યાદીની જાહેરાત કરી છે. વિરોધની સંભાવનાના પગલે કોંગ્રેસ કાર્યાલયના બદલે અન્ય સ્થળે બેઠક યોજીગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બેઠક ગુપ્ત સ્થળે કરતા હોવાથી રાજીવ ગાંધી ભવન પર કોઈ માહોલ મળી રહ્યો નથી. માત્ર બોડીગાર્ડ અને કેટલાક કાર્યકર્તાઓ જ કામગીરી કરતા જોવા મળ્યા હતા.પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ અને જિલ્લા, તાલુકા અને શહેર પ્રમુખને જ બેઠકમાં હાજર રાખવામાં આવ્યા હતા. ગુપ્ત સ્થળ પર યોજાયેલી બેઠકમાં ઉમેદવારોના નામની પંસદગી કરી લેવામાં આવી છે. ઉમેદવારોની જાહેર કરવાના બદલે સીધા મેન્ડેન્ટ આપવાનું બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે. નેતાઓની ખેંચતાણ અને જૂથવાદના કારણે પ્રભારીઓને મેન્ડેટ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. આજથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં પ્રભારીઓ મેન્ડેન્ટની ફાળવણી કરશે. અમદાવાદ મનપાના કેટલાક ઉમેદવારોનું કોકડું ગૂંચવાયુંઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાકી રહેલા ઉમેદવારોને બપોર ટેલિફોનીક જાણ કરી ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવી છે. બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર, જમાલપુર, શાહપુર, ચાંદખેડા વોર્ડમાં સિનિયર નેતાઓ દ્વારા લોબિંગ કરવામાં આવ્યું છે. જેથી આ વોર્ડમાં ઉમેદવારોને બપોર પછી ટેલિફોનીક ચૂંટણી લડવા માટેની તૈયારીઓ કરી દેવા સૂચના આપવામાં આવશે. વિવાદિત બેઠક પરના ઉમદેવારના મેન્ડેટ પણ સીધા ઓફિસ પર જ પહોચાડવામાં આવશે. વિવાદ ન સર્જાય તે માટે ટેલિફોનીક જાણ કર્યા બાદ ઔપચારિક યાદી જ જાહેર કરવામાં આવશે. RJ આભાને કોંગ્રેસે રાજકોટ મનપાના વોર્ડ નંબર 10માં ટિકિટ આપીરાજકોટ શહેરના વોર્ડ નંબર 10માંથી કોંગ્રેસે RJ આભાને ઉમેદવાર જાહેર કર્યા. RJ આભા કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે. આભા ફેસબુકમાં 160K ફોલોઅર્સ અને ઇન્સ્ટાગ્રામમાં 309K ફોલોઅર્સ ધરાવે છે. કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદીમાં 7 મહાનગરપાલિકાના 243 ઉમેદવારો જાહેર કરાયા હતા

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 9:27 pm

સુરત મનપા ચૂંટણી, આજે 64 ઉમેદવારોએ ફોર્મ ભર્યા:ભાજપમાં 'સસ્પેન્સ' યથાવત રહેતા છેલ્લી ઘડીએ ફોર્મ ભરવા 30 લીગલ એડવાઈઝરની ફોજ તૈનાત

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં રાજકીય માહોલ ગરમાયો છે. શનિવારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવા છતાં શુક્રવાર રાત્રે 8 વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટીએ પોતાના પત્તા ખોલ્યા નથી. ભાજપના ઉમેદવારોના નામ જાહેર ન થતા કાર્યકરો અને દાવેદારોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. બીજી તરફ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) સહિતના 64 ઉમેદવારોએ આજે શુક્રવારે ફોર્મ ભરી પોતાની દાવેદારી નોંધાવી છે. ભાજપે છેલ્લી ઘડીની દોડધામને પહોંચી વળવા માટે ખાસ લીગલ પેનલ તૈયાર કરી છે. ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ન થાય તે માટે લીગલ એડવાઈઝરની પેનલ તૈયારસુરત ભાજપ દ્વારા આ વખતે ઉમેદવારોના નામ જાહેર કરવામાં ભારે ગુપ્તતા જાળવવામાં આવી છે. શુક્રવારે રાત્રે 8:30 વાગ્યા સુધી સત્તાવાર યાદી ન આવતા એક પણ ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું નથી. જોકે, સંગઠન દ્વારા આંતરિક રીતે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. છેલ્લી ઘડીએ નામ જાહેર થાય અને ફોર્મ ભરવામાં કાયદાકીય ટેક્નિકલ ભૂલ ન રહી જાય તે માટે વોર્ડ દીઠ ખાસ લીગલ એડવાઈઝરોની નિમણૂક કરવામાં આવી છે. ચાર ઉમેદવારો વચ્ચે એક લીગલ એક્સપર્ટની ફાળવણી કરવામાં આવી છે, જેઓ રાતભર ઉમેદવારોના એફિડેવિટ અને ડોક્યુમેન્ટ્સનું ચેકિંગ કરશે. બીજા દિવસે કુલ 64 ઉમેદવારોએ ફોર્મ ભર્યાશુક્રવારે સુરતના વિવિધ ઝોનલ ઓફિસો ખાતે ફોર્મ ભરવા માટે ભારે ભીડ જોવા મળી હતી. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ આજે શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ જમા કરાવ્યા હતા. આજે કુલ 64 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જેની સાથે છેલ્લા ત્રણ દિવસમાં ફોર્મ ભરનારાઓની કુલ સંખ્યા 74 પર પહોંચી ગઈ છે. શનિવાર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. ભાજપની યાદી જાહેર થયા બાદ આવતીકાલે ફોર્મ ભરવાનો આંકડો રેકોર્ડબ્રેક સ્તરે પહોંચવાની શક્યતા છે. યાદી વગર જ અનેક ઉમેદવારો મેદાનમાં ઉતર્યાકોંગ્રેસ પક્ષમાં પણ અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. પ્રથમ યાદી જાહેર થયા બાદ બીજી સત્તાવાર યાદી જાહેર કરવામાં વિલંબ થયો છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા નક્કી કરાયેલા ઉમેદવારોને રૂબરૂ ફોન કરીને ફોર્મ ભરી દેવાની સૂચના આપી દેવામાં આવી હતી. આ આદેશ મળતા જ અનેક કોંગ્રેસી નેતાઓ પોતાની ફાઈલો લઈને કલેક્ટર કચેરી અને ઝોનલ ઓફિસોએ પહોંચી ગયા હતા. કોંગ્રેસના રણનીતિકારોનું માનવું છે કે, ભાજપની યાદી આવ્યા બાદ જ પોતાની પૂરેપૂરી તાકાત મેદાનમાં ઉતારવી. વોર્ડ નં-2 અમરોલી-મોટા વરાછામાં સૌથી વધુ ફોર્મચૂંટણીના જંગમાં વોર્ડ નંબર 2 (અમરોલી-મોટા વરાછા-કઠોર) અત્યારે હોટ ફેવરિટ બન્યો છે. આ વોર્ડમાંથી આજે સૌથી વધુ 10 ફોર્મ ભરાયા છે. આમ આદમી પાર્ટી તરફથી પરિમલ કાણાની, દયાબેન પાનસુરીયા, કિરણબેન મેઘાણી, જ્યોત્સનાબેન સુતરીયા, તુલસી લાલલીયા અને નયનાબેન ગાનાણીએ ઉમેદવારી નોંધાવી છે. તો સામા પક્ષે કોંગ્રેસમાંથી અરવિંદ પગદાર, પંકજ સરખેડીયા અને પ્રવિણા ખેની જેવા નામો મેદાનમાં આવતા આ વિસ્તારમાં જંગ રસપ્રદ બનશે તેમ દેખાઈ રહ્યું છે. શનિવારે ભાજપના તમામ ઉમેદવારો એકસાથે શક્તિ પ્રદર્શન કરશેભાજપની પરંપરા મુજબ છેલ્લી ઘડીએ જ ઉમેદવારો નક્કી કરવામાં આવે છે, જેથી બળવો કે આંતરિક જૂથવાદ રોકી શકાય. મોડી રાત્રે યાદી ફાઈનલ થયા બાદ તમામ 120 બેઠકો પર ભાજપના ઉમેદવારો શનિવારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જશે. ભાજપે દરેક વોર્ડમાં જંગી રેલીઓ અને ઢોલ-નગારા સાથે શક્તિ પ્રદર્શન કરવાનું આયોજન કર્યું છે. રાજકીય વિશ્લેષકોના મતે, આવતીકાલનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ સુરતમાં ત્રિકોણીય મુકાબલો જામશે જેની સીધી અસર સુરતના મતદારો પર પડશે. આગામી દિવસોમાં પ્રચાર યુદ્ધ તેજ બનશેફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ સુરત શહેર અને જિલ્લામાં પ્રચારનો ધમધમાટ શરૂ થશે. આ વખતે સોશિયલ મીડિયાથી લઈને પદયાત્રાઓ સુધીના કાર્યક્રમોની હારમાળા સર્જાશે. ભાજપ પોતાના વિકાસના મોડલ સાથે, કોંગ્રેસ સ્થાનિક પ્રશ્નો સાથે અને આમ આદમી પાર્ટી 'પરિવર્તન'ના નારા સાથે મેદાનમાં છે. અનેક બેઠકો પર ચતુષ્કોણીય મુકાબલા સર્જાવાની પણ પૂરી શક્યતા છે, જેને કારણે આ વખતની મહાનગરપાલિકાની ચૂંટણી ઐતિહાસિક સાબિત થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 9:17 pm

અમદાવાદના 50થી વધુ વેપારી સાથે ઠગાઇ આચરનાર ઝડપાયો:પેમેન્ટના ખોટા સ્ક્રીન શોર્ટથી ઠગાઈ કરતો, નવરાત્રીમાં પાર્ટી પ્લોટોના પાસ પણ લીધા'તા; 10.87 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદમાં વેપારીઓ પાસેથી ઇલેક્ટ્રોનીક્સ ગેટેઝ્સ અને કપડા સહિતનો માલસામાન ખરીદીને પેમેન્ટ કર્યાનો બનાવટી સ્ક્રીન શોટ બતાવીને 50થી વધુ વેપારીઓ સાથે ઠગાઇ કરનાર ગઠિયો ઝડપાયો છે. આરોપીએ નવરાત્રીમાં પાર્ટી પ્લોટોની ટિકીટો પણ બનાવટી પેમેન્ટનો સ્ક્રીન શોર્ટ બતાવીને લઇ લીધી હતી. મહત્વનું છે કે બોપલ આંબલી રોડ પર કાપડની દુકાન ધરાવતા વેપારીને બનાવટી સ્ક્રીન શોટ મોકલીને છેતરપિંડી કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આરોપી સામે આઠ કેસ પણ નોંધાઈ ચૂક્યા છે. પેમેન્ટ કર્યાનો સ્ક્રીન શોટ મોકલ્યો, પણ બેંક એકાઉન્ટમાં નાણાં જમા થયા નહોતાબોપલમાં રહેતા મયુરભાઇ દોંગા બોપલ-આંબલી રોડ પર પડદાના કાપડની દુકાન ધરાવે છે.થોડા દિવસ અગાઉ એક યુવક દુકાને આવ્યો હતો અને તેણે તાત્કાલિક કાપડ લેવાનું કહીને 40 હજારનું કાપડ પસંદ કર્યું હતું. યુવકે બેંકની ડીટેઇલ મોકલીને કાપડ લઇને પેમેન્ટ કર્યાનો સ્ક્રીન શોટ મોકલ્યો હતો. પરંતુ મયુરભાઇના બેંક એકાઉન્ટમાં નાણાં જમા થયા નહોતા. બીજી તરફ યુવકનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. આ યુવકે તેનું નામ ઋષિલ શાહ જણાવ્યું હતું. જેની ભાળ ન મળતા મયુરભાઇએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. 10.87 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયોપોલીસે સીસીટીવી ફુટેજના આધારે ઋષિલ શાહને ઘાટલોડિયામાં તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ. 10.87 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછપરછ કરતા તેના વિરૃદ્ધ ગાંધીનગર અને અમદાવાદમાં અકસ્માત સહિત કુલ આઠ ગુના નોંધાઇ ચુક્યા છે. તેમજ તે કારમાં બનાવટી નંબર પ્લેટ રાખતો હતો અને અન્ય નામના સીમ કાર્ડ પણ વાપરતો હતો. એડિંટીંગ કરીને મેસેજ બતાવીને માલસામાન લઇને ઠગાઇ આચરતોઉપરાંત BBA સુધીનો અભ્યાસ કર્યો છે. કેન્વાસ એપ્લીકેશનથી મેસેજમાં એડિંટીંગ કરીને મેસેજ બતાવીને માલસામાન લઇને ઠગાઇ આચરતો હતો. જ્યારે તેને નવરાત્રીમાં સફેદ પરીંદે જેવા પ્રખ્યાત ગરબામાં પણ બનાવટી મેસેજ બતાવીને 45 ટિકીટો લઇને બારોબાર વેચીને રૂપિયા કમાઇને મોજશોખમાં ઉડાવી દીધા હતા.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 9:17 pm

ગાંધીનગર ભાજપમાં ભડકો થવાના એંધાણ:જિ. પંચાયતમાં 'નો-રિપીટ’ થિયરીમાં દિગ્ગજોની બાદબાકીથી સંગઠનમાં ખળભળાટ, આયાતી ઉમેદવારોને લોટરી લાગતા રોષ

ગાંધીનગર જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી માટે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની યાદીએ પક્ષમાં આંતરિક વિખવાદ અને રોષની જ્વાળાઓ ભડકાવી છે. ‘નો-રિપીટ’ થિયરીના નામે વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો એક કરનારા સ્થાનિક દિગ્ગજોના પત્તા કાપી નાખવામાં આવતા સંગઠનમાં ભડકો થવાનો માહોલ ઉભો થયો છે. ખાસ કરીને પક્ષપલ્ટો કરીને આવેલા નેતાઓને ટિકિટની લોટરી લાગતા સ્થાનિક કાર્યકરોમાં બળવાના સૂર સંભળાઈ રહ્યા છે. યાદીમાં દિગ્ગજોની બાદબાકીથી ભાજપ સંગઠનમાં ખળભળાટગાંધીનગર જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી માટે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની યાદીમાં દિગ્ગજોની બાદબાકીથી સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે. પાર્ટીના પસંદગીકારોએ અગાઉ ચૂંટાયેલા સભ્યો સહિત સ્થાનિક દિગ્ગજો પર રીતસરની સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. 28 બેઠકો પૈકી 27 બેઠકો પર મુરતિયા જાહેર કરાયા છે, જેમાં નો-રિપીટ થિયરીનો કડક અમલ કરીને માત્ર બે સભ્યોને જ રિપીટ કરવામાં આવ્યા છે. નવા ચહેરાઓને તક આપીને જૂના જોગીઓને હાંસિયામાં ધકેલી દેવાયાજેમાં માણસાની લોદરા બેઠક પરથી કલ્પેશ પટેલ અને દહેગામની કડજોદરા બેઠક પરથી રાજેન્દ્ર રાઠોડ પર ફરી વિશ્વાસ મુકાયો છે, જ્યારે બાકીની તમામ બેઠકો પર નવા ચહેરાઓને તક આપીને જૂના જોગીઓને હાંસિયામાં ધકેલી દેવાતા સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે.​આ યાદીમાં સૌથી વધુ આશ્ચર્ય અને રોષ આયાતી ઉમેદવારોને કારણે જોવા મળી રહ્યો છે. કેમકે મૂળ કોંગ્રેસી અને બે વર્ષ પહેલા ભાજપમાં ભળેલા રશ્મિભાઇ ઠાકોરને સાંતેજ અને રાજીબેન ઠાકોરને ભોયણ મોટી બેઠક પર ટિકિટની લોટરી લાગી છે. પક્ષપલ્ટો કરનારાઓને વચન નિભાવવાના નામે ટિકિટ અપાતા આંતરિક રોષજેના પગલે પક્ષના વફાદાર કાર્યકરોને અવગણીને પક્ષપલ્ટો કરનારાઓને વચન નિભાવવાના નામે ટિકિટ અપાતા આંતરિક રોષ ફાટી નીકળ્યો છે. આ ઉપરાંત માણસાની સોજા બેઠક પર ગત જૂનમાં ગ્રામ પંચાયતની ચૂંટણી હારી ગયેલા મહિલાના પતિને ટિકિટ અપાતા પક્ષની પસંદગી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પરિવારવાદના પણ કેટલાક કિસ્સા સામે આવ્યા છે. જેમાં બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેનના પુત્રવધુ લક્ષ્મીબેન ઠાકોરને ઉવારસદ અને પેટાચૂંટણી જીતેલા સભ્યના પત્ની સોનીબેન દેસાઇને હાલીશા બેઠક પરથી મેદાનમાં ઉતારાયા છે. જયાબેન ઠાકોરની અડાલજ બેઠક સામાન્ય છતાં નવા ચહેરાને તક ​બીજી તરફ બેઠકોના રોટેશન અને સીમાંકનમાં થયેલા ફેરફારને કારણે અનેક મહિલા દિગ્ગજોના પત્તા કપાયા છે. પૂર્વ પ્રમુખ શિલ્પાબેન પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન હંસાબેન પટેલ, સિંચાઈ સમિતિના ચેરમેન લીલાબેન પટેલ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કવિતાબેન સંગાડા જેવી નેતાઓની બેઠકો અનામતની ફાળવણીમાં બદલાઈ જતાં તેઓ રેસમાંથી બહાર થઈ ગયા છે. તો આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન જયાબેન ઠાકોરની અડાલજ બેઠક સામાન્ય થવા છતાં ત્યાં નવા ચહેરાને તક અપાઈ છે. ભાજપ હાઈકમાન્ડ આંતરિક રોષને ડામવામાં સફળ ના રહ્યું?જિલ્લા પંચાયતની 28 બેઠકો પૈકી ભાજપે 27ના નામોમાં જ્ઞાતિવાદનું જોર પણ સ્પષ્ટ દેખાય છે. 15 મહિલા ઉમેદવારો અને ઠાકોર-પટેલ સમાજના વર્ચસ્વ વચ્ચે જેમના પત્તા કપાયા છે તેઓ હવે શાંત બેસે તેમ જણાતું નથી. અડાલજ, સરઢવ, સાદરા અને ડભોડા જેવી બેઠકો પર તદ્દન નવા ચહેરાઓને ઉતારવા સામે પણ પક્ષની અંદર ગણગણાટ શરૂ થયો છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપ હાઈકમાન્ડ આ આંતરિક રોષને ડામવામાં સફળ રહે છે કે પછી સીટિંગ દિગ્ગજોનો આ અસંતોષ ચૂંટણી ટાણે ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થાય છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 9:07 pm

બેંક છેતરપિંડી કેસમાં CBI કોર્ટે સજા ફટકારી:3 નિવૃત્ત અધિકારી સહિત 9ને દોષિત ઠેરવીને 2 વર્ષની સખત કેદ અને પ્રત્યેકને 1 લાખનો દંડ

CBI કોર્ટ અમદાવાદ દ્વારા આજે પંજાબ નેશનલ બેંકના નિવૃત્ત આસિસ્ટન્ટ જનરલ મેનેજર ગુરિન્દર સિંઘ, નિવૃત્ત ચીફ મેનેજર કે.જી.સી.એસ. અય્યર અને નિવૃત્ત સીનિયર મેનેજર કે.ઈ. સુરેન્દ્રનાથ તેમજ અન્ય ખાનગી વ્યક્તિઓ સંજય પટેલ, સતીષ ડાવરા, હિતેશ ડોમડિયા, વૈશાલી ડાવરા, રમીલાબેન ભીકાડિયા અને મેસર્સ જલ્પા એન્ટરપ્રાઈઝ પ્રાઇવેટ લિમિટેડને બેંક છેતરપિંડીના કેસમાં દોષિત ઠેરવી સજા ફટકારવામાં આવી છે. 2 વર્ષની સખત કેદ અને પ્રત્યેકને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યોગુરિન્દર સિંઘ, કે.જી.સી.એસ. અય્યર અને કે.ઈ. સુરેન્દ્રનાથને 2 વર્ષની સખત કેદ અને પ્રત્યેકને 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. જ્યારે ખાનગી વ્યક્તિઓ સંજય પટેલને ત્રણ વર્ષની સખત કેદ અને 50 હજારનો દંડ કરવામાં આવ્યો છે. હિતેશ ડોમડિયાને ત્રણ વર્ષની સખત કેદ અને 01 લાખનો દંડ કરવામાં આવ્યો છે. સતીષ ડાવરાને બે વર્ષની સખત કેદ અને 50 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. વૈશાલી ડાવરાને બે વર્ષની સખત કેદ અને 50 હજારનો દંડ કરવામાં આવ્યો છે. રમીલા ભીકાડિયાને બે વર્ષની સખત કેદ અને 50 હજારનો દંડ કરવામાં આવ્યો છે. મેસર્સ જલ્પા એન્ટરપ્રાઈઝને 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. 3.70 કરોડની લોન અને 40 લાખની કેશ ક્રેડિટ લિમિટ માટે અરજી કરી હતીCBIએ 22 ઓગસ્ટ, 2016 ના રોજ આરોપી શૈલેષ સતાસીયા સંજય પટેલ, સતીષ ડાવરા અને અન્ય અજાણ્યા ખાનગી વ્યક્તિઓ તથા સરકારી કર્મચારીઓ વિરુદ્ધ આ કેસ નોંધ્યો હતો. તેઓની ઉપર આરોપ હતો કે મેસર્સ શ્રી કાલી ટેક્સટાઈલ્સના પ્રોપરાઈટર શૈલેષ સતાસીયાએ 44 વોટર જેટ લૂમ મશીનોની ખરીદી અને સામાન્ય વ્યાપારિક કામગીરી માટે 10 જુલાઈ, 2011 ના રોજ 3.70 કરોડની ટર્મ લોન અને 40 લાખની કેશ ક્રેડિટ લિમિટ માટે અરજી કરી હતી. AGM ગુરિન્દર સિંઘે આ લોન મંજૂર કરી હતીઆરોપી સીનિયર મેનેજર કે.ઈ. સુરેન્દ્રનાથ અને ચીફ મેનેજર કે.જી.સી.એસ. અય્યરની ભલામણ બાદ, 29 જુલાઈ, 2011 ના રોજ તત્કાલીન AGM ગુરિન્દર સિંઘ દ્વારા આ લોન મંજૂર કરવામાં આવી હતી. આ લોન માટે 44 મશીનોને પ્રાથમિક સુરક્ષા તરીકે અને વિવિધ પ્લોટ્સ તથા રહેણાંક ફ્લેટ્સને કોલેટરલ સિક્યુરિટી તરીકે રાખવામાં આવ્યા હતા. પંજાબ નેશનલ બેંક સુરતને 1.57 કરોડનું નુકસાન થયું હતુંતપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી શૈલેષ સતાસીયા અને અન્ય ખાનગી વ્યક્તિઓએ છેતરપિંડીના ઈરાદે બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. આરોપી સરકારી કર્મચારીઓએ બેંકની માર્ગદર્શિકાનું પાલન કર્યા વિના, આ ખોટા દસ્તાવેજોને સાચા તરીકે સ્વીકારી લોન વિતરિત કરી હતી. જેના કારણે આરોપીઓને ગેરકાયદે લાભ થયો હતો અને પંજાબ નેશનલ બેંક સુરતને 1.57 કરોડનું નુકસાન થયું હતું. CBI એ તપાસ પૂર્ણ કર્યા બાદ 29 જૂન, 2016 ના રોજ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 8:59 pm

સિદ્ધપુરમાં જમીન-મશીનરીના નામે ₹2.73 કરોડની છેતરપિંડી:બે શખ્સો સામે ગુનો, ભળતી જમીન આપી; મશીનરી ન આપી

સિદ્ધપુર જીઆઈડીસી વિસ્તારમાં ફેક્ટરી શરૂ કરવાના બહાને એક વેપારી સાથે ₹2.73 કરોડની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સિદ્ધપુર પોલીસ મથકે નોંધાઈ છે. આરોપીઓએ વેપારીને એન.એ. થયેલી ભળતી જમીન બતાવી અન્ય જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો અને મશીનરી પેટે લીધેલા કરોડો રૂપિયા ઓળવી ગયા હતા. સિદ્ધપુરની રૂદ્રાક્ષ સોસાયટીમાં રહેતા રીતેશભાઈ અરવિંદભાઈ ખત્રીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2024માં રીતેશભાઈએ સેન્ટિંગ વાયર બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન કર્યું હતું. આ માટે તેઓ સેન્દ્રાણા ગામની સીમમાં આવેલી જમીન જોવા ગયા હતા, જ્યાં આરોપી અમીનભાઈ અહમદભાઈ પલાસરાએ તેમને સર્વે નંબર 1229 પૈકી 3 વાળી જમીન બતાવી હતી. જોકે, વિશ્વાસમાં લઈ આરોપી અમીનભાઈએ વેપારીને સર્વે નંબર 1229 પૈકી 2 વાળી જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો. આ જમીન પેટે વેપારીએ કુલ ₹1,05,50,000 ચૂકવ્યા હતા. છેતરપિંડીનો સિલસિલો અહીં જ ન અટકતા, આરોપી અમીનભાઈએ તેના ભાઈ અકબરભાઈ અહમદભાઈ પલાસરાની મશીનરી બનાવવાની ફેક્ટરી હોવાનું જણાવી પ્રોજેક્ટ માટે ત્યાંથી મશીનરી લેવા વેપારીને સમજાવ્યા હતા. વેપારીએ કેનેરા બેન્કમાંથી લોન મેળવી અકબરભાઈના બેન્ક ખાતામાં ટુકડે-ટુકડે ₹1,67,98,000 જમા કરાવ્યા હતા. લાંબો સમય વીતવા છતાં આરોપીઓએ મશીનરી આપી નહોતી કે નાણાં પરત કર્યા નહોતા. દરમિયાન, વેપારીએ ખરીદેલી જમીન પર બાંધકામ શરૂ કરતા અન્ય એક વ્યક્તિએ આવીને આ જમીન પોતાની હોવાનું જણાવી દસ્તાવેજો બતાવ્યા હતા. ત્યારે વેપારીને જાણ થઈ હતી કે તેમને બતાવેલી જમીન અને દસ્તાવેજમાં દર્શાવેલી જમીન અલગ-અલગ છે. આમ, જમીન અને મશીનરી બંને પેટે મળીને કુલ ₹2,73,48,000 ની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ બનાવ અંગે રીતેશભાઈ ખત્રીએ સિદ્ધપુર પોલીસ મથકે અમીનભાઈ પલાસરા અને અકબરભાઈ પલાસરા (બંને રહે. બાસૂ, તા. વડગામ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બી.એન.એસ. કલમ 316(2), 318(4) અને 61 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 8:49 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મનો વરસાદ:મનપામાં 607, ન.પા.માં 900, જિ.પામાં 1400 અને તા.પં.માં 2000 મળી 4907થી વધુ ઉમેદવારી ફોર્મ ભરાયા

ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની આગામી ચૂંટણીઓ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ બનતા રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યભરમાં હજારો ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક ફોર્મ ભર્યા છે, જેમાં ખાસ કરીને મહાનગરપાલિકા અને ગ્રામ્ય સ્તરે ભારે સ્પર્ધા જોવા મળી રહી છે. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ બાકી હોવાથી આગામી સમયમાં આ આંકડો હજુ વધવાની અને ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનવાની શક્યતા છે. નગરપાલિકા અને તાલુકા પંચાયત સ્તરે પણ નોંધપાત્ર ફોર્મ ભરાયાવિવિધ સ્તરે ભરાયેલા ફોર્મના આંકડાઓ રાજ્યમાં ચૂંટણી પ્રત્યેની સક્રિયતા દર્શાવે છે. મહાનગરપાલિકાઓમાં ઉમેદવારોનો ધસારો સૌથી વધુ રહ્યો છે, જેના કારણે મોટા શહેરોમાં મુકાબલો કઠિન બન્યો છે. બીજી તરફ, નગરપાલિકા અને તાલુકા પંચાયત સ્તરે પણ નોંધપાત્ર ફોર્મ ભરાયા છે, જે સ્થાનિક સ્તરે બદલાતા રાજકીય સમીકરણો અને ગ્રામ્ય વિસ્તારોમાં વધતી જાગૃતિનો સંકેત આપે છે. છેલ્લા દિવસે ફોર્મ ભરનારાઓની સંખ્યામાં મોટો ઉછાળોરાજકીય પક્ષોની સાથે સાથે મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતર્યા છે. આ સ્થિતિને કારણે અનેક બેઠકો પર ત્રિકોણીય જંગ ખેલાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. હજુ પણ પક્ષો દ્વારા બાકી રહેલા નામોની જાહેરાત થતાની સાથે જ છેલ્લા દિવસે ફોર્મ ભરનારાઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. ચૂંટણી પ્રક્રિયાના આ પ્રારંભિક તબક્કા પરથી સ્પષ્ટ થાય છે કે આ મુકાબલો રસાકસીભર્યો રહેશે. ઉમેદવારોમાં જોવા મળી રહેલો આ ભારે ઉત્સાહ અને જટિલ સ્પર્ધાત્મક સમીકરણો આગામી સમયમાં રાજ્યની રાજકીય દિશા નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. મહાનગરપાલિકામાં ફોર્મ ભરાયા નગરપાલિકામાં ફોર્મ ભરાયા જિલ્લા પંચાયતમાં ફોર્મ ભરાયા તાલુકા પંચાયતમાં ફોર્મ ભરાયા

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 8:41 pm

ઇંટના ધંધાર્થી પાસે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી:રાજકોટના યુવાને રૂ.85 લાખના બદલામાં રૂ.1.14 કરોડ ચૂકવ્યા છતા નાણાની માંગણી ચાલુ, 6 શખ્સો સામે મનીલેન્ડ એક્ટનો ગૂનો નોંધાયો

રાજકોટના નવાગામના ઇંટનો ધંધાર્થી યુવાન વ્યાજંકવાદમાં ફસાયો હતો. યુવાને વ્યવસાયના કામ રૂ .85 લાખ વ્યાજે લીધા બાદ રૂ.1.14 કરોડ ચૂકવી દીધા હતા. આમ છતા વ્યાજખોરો દ્વારા વ્યાજ અને મૂડીની માગણી કરી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. જેનાથી કંટાળીને યુવાને થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે મહિલા સહિત 6 શખ્સો સામે મનીલેન્ડ એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. નવાગામમાં સમજુ પાર્કમાં રહેતાં મૂળ ચુનારાવાડના દેવેન્દ્રભાઇ હરેશભાઇ મંડલી (ઉ.વ 42) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મહેશ નરસંગ રાઠોડ (રહે.ભીચરી), રાજુ ભલસોડ (રહે. ચુનારાવાડ શેરી નં.02), નાગદાન આહીર (રહે. રાજપીપળા), મુન્ના ફુલવાળાની પત્ની (રહે. ચુનારાવાડ), રાજુ મહાકાળી પાનવાળો (રહે. દૂધની ડેરી પાસે) અને રાકેશ કાના રમેશ ગોસ્વામી (રહે. કુવાડવા રોડ)નું નામ આપતાં થોરાળા પોલીસે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરીયાદીએ જણાવ્યું હતુ કે, તેમને ઇંટના ભઠ્ઠાનો ધંધો હોય વર્ષ 2018માં ધંધામાં ખોટ આવતા જેની પાસેથી માટી મંગાવતા હતા તે ભીચરી ગામના મહેશ રાઠોડ પાસેથી રૂ. 8 લાખ 2 ટકા વ્યાજ લીધા હતા. જે બાદ વધુ રૂ.5 લાખ વ્યાજે લીધા હતા. આમ કુલ રૂ.13 લાખના 2 ટકા વ્યાજ લેખે દર મહિને રૂ.26 હજાર રોકડ ચૂકવતો હતો અને અત્યાર સુધીમાં રૂ. 27 લાખ ચૂકવી દીધા હોવા છતા વ્યાજખોર વ્યાજ અને મૂડીની માંગણી કરી ધમકી આપી રહ્યા છે. આ ઉપરાંત યુવાને ચુનારાવાડના રાજુ ભલસાડ પાસેથી રૂ. 7 લાખ 3 ટકા વ્યાજે લીધા હતા જેને આજદિન સુધીમાં રૂ.9 લાખ ચૂકવી દીધા હોવા છતાં ધમકીઓ આપે છે. વર્ષ 2020 માં નાગદાન આહીર પાસેથી રૂ.8 લાખ 4 ટકા વ્યાજે લીધા હતા બાદમાં વધુ જરૂર પડતા કુલ રૂ.13 લાખ તેમની પાસેથી વ્યાજે લીધા હતા જેના બદલામાં રૂ.13 લાખ ચૂકવી દીધા હોવા છતાં ધમકીઓ આપે છે. આ ઉપરાંત યુવાને ચુનારાવાડ-1માં રહેતા મુન્ના ફુલવાળા પાસેથી વર્ષ 2018 માં રૂ. 4 લાખ વ્યાજ આજે લીધા હતા જેનું દર મહિને અઢી ટકા વ્યાજ યુવાન ચૂકવતો હતો. એક વર્ષ પહેલા મુન્નાભાઈનું અવસાન થતાં મુન્નાભાઈની પત્નીનો ફોન આવ્યો હતો અને હવે વ્યાજ અને મૂડી બંને આપવું પડશે તેમ કહ્યું હતુ. આ ઉપરાંત વર્ષ 2021 માં રાજુભાઈ મહાકાળી પાનવાળા પાસેથી યુવાને 13 લાખ 5 ટકા વ્યાજ લીધા હતા 2021 સુધી રાજુભાઈને વ્યાજની રકમ રૂ. 15 લાખ આપી દીધી હોવા છતાં તે મૂડી અને વ્યાજની માંગણી કરી ધમકીઓ આપે છે. આ સાથે જ યુવાને પાડોશમાં રહેતા રાકેશભાઈ ઉર્ફે કાના કાનાભાઈ ગોસ્વામી પાસેથી વર્ષ 2022માં ધંધાના કામ માટે રૂપિયા 14 લાખ 5 ટકા વ્યાજે લીધા હતા. જે બાદ વધુ જરૂરિયાત પડતા કુલ રૂ. 35 લાખ તેમની પાસેથી 5 ટકા વ્યાજ લીધા હતા. જેમાં આજદિન સુધીમાં રૂ. 50 લાખ વ્યાજ ચૂકવી દીધું હોવા છતા વ્યાજખોરો ધમકીઓ આપવા લાગ્યા હતાં. જેથી યુવાને આ અંગે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે મની લેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 8:40 pm

બાથરૂમમાં મહિલાનો વિડીયો બનાવ્યો:વડોદરામાં એક શખ્સે છુપાઈને બાથરૂમમાં કપડાં ધોઈ રહેલી મહિલાનો વીડિયો ઉતાર્યો, મહિલાએ બૂમાબૂમ કરતા યુવક મોબાઈલ ફેંકીને ભાગી છૂટ્યો, અભયમની ટીમ મદદે દોડી ગઈ

વડોદરા શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક અજાણ્યા શખ્સે છુપાઈને મહિલાનો મોબાઈલમાં વીડિયો બનાવ્યો હતો. આ મામલે પીડિત મહિલાએ અભયમ ટીમની મદદ લેતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. મળતી માહિતી મુજબ, પીડિત મહિલાએ અભયમ ટીમને જાણ કરી હતી કે, આજે સવારે તે પોતાના ઘરના બાથરૂમમાં કપડાં ધોઈ રહી હતી. તેમના ઘરના બાજુમાં કડિયા કામ માટે આવતો એક વ્યક્તિ હતો. બાથરૂમની દીવાલો હોવા છતાં ઉપરનો ભાગ ખુલ્લો હતો અને ત્યાં લગાવેલ નેટ તાજેતરના વાવાઝોડાને કારણે ઉડી ગઈ હતી. આ દરમિયાન મહિલા નાહવા બેઠી હતી ત્યારે તેની નજર બાજુમાં ઉભેલા વ્યક્તિ પર ગઈ, જે મોબાઈલ દ્વારા વીડિયો બનાવી રહ્યો હતો. મહિલાએ તાત્કાલિક બુમાબુમ કરતાં પરિવારજનો દોડી આવ્યા હતા. ત્યારબાદ પરિવારજનો એ વ્યક્તિના ઘરે પહોંચ્યા હતા, પરંતુ તેણે અભદ્ર ભાષામાં બોલાચાલી કરી હતી અને પોતાનો મોબાઈલ ફેંકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તે વ્યક્તિ કડિયા કામ માટે ત્યાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પીડિત મહિલાએ તરત જ અભયમ ટીમને કોલ કર્યો હતો. અભયમ ટીમ ઘટનાસ્થળે પહોંચી સામે પક્ષના ઘરે તપાસ કરતા ઘર તાળાબંધ મળ્યું હતું અને આસપાસ શોધખોળ છતાં આરોપી મળી આવ્યો નહોતો. આ સંદર્ભે પીડિત મહિલાને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનમાં અરજી આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સાથે જ આરોપી દ્વારા ફેંકાયેલ મોબાઈલ પણ પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 8:36 pm