SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
... ...View News by News Source

ભાસ્કર એક્સક્લુસિવ:સ્વરોજગાર માટે 50 હજારની સબસીડી મળ્યા પછી 2004 લોનધારકોએ હપ્તા ભરવાનું બંધ કરી દીધું

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા જરૂરમંદોને પગભર થવા વાહન ખરીદીમાં રૂ.50 હજારની સબસિડી સાથે ઓછા વ્યાજની લોન અપાય છે. જોકે, સબસિડીનો લાભ લીધા બાદ રીઢા લાભાર્થીઓ હપ્તા ભરતા નથી કે સબસીડી જમા થયા પછી હપ્તા ભરવાનું બંધ કરી દે છે. કચેરીએ છેલ્લા ત્રણ વર્ષના મહેસાણા અને પાટણ જિલ્લાના આવા 2004 લાભાર્થીઓને શોધી બાકી હપ્તા વ્યાજ અને દંડ સાથે ભરપાઇ કરવા નોટિસો ફટકારી છે. છતાં કોઇ હપ્તા ભરવા આવતું નથી. સૂત્રો મુજબ, લોનના બાકી હપ્તા ભરવા ફોન કરીએ ત્યારે સગવડ નથી, ધંધો ચાલતો નથી તેવા કારણો આગળ ધરે છે. મહેસાણા નિગમ કચેરીના સૂત્રોએ કહ્યું કે, નિયત આવક મર્યાદા ધરાવતા અનુસૂચિત જાતિના લાભાર્થીઓને પેસેન્જર રિક્ષા, ટ્રેક્ટર, ઇકો જેવા વાહન ખરીદવા રૂ.50 હજારની સબસીડી મળે છે. રિક્ષામાં રૂ.3 લાખની લોનમાં માસિક રૂ.3500ના હપ્તાથી આઠ વર્ષમાં ભરવાની હોય છે અને તેમાં માત્ર 3 ટકા વ્યાજ હોય છે. જ્યારે સ્વરોજગારની 5 વર્ષની મર્યાદાની રૂ.2 લાખની લોનમાં માસિક રૂ.3506 હપ્તો આવે છે. મહિલાને વાર્ષિક માત્ર એક ટકા વ્યાજે લોન મળે છે. આમ છતાં, ઘણા લાભાર્થીઓ લોન તેમના ખાતામાં આવ્યા પછી પૂરા હપ્તા ભરતા નથી. નોટિસો આપી ઉઘરાણી કરીએ છીએ. ફોન કરતાં છેલ્લા કેટલાક હપ્તા બાકી હોય તે ભરી જતા હોય છે. ભાસ્કર ઇનસાઇડહપ્તા નહીં ભરે તો ચેક રિટર્નનો કોર્ટ કેસ થશેનિગમમાં લાભાર્થીઓએ લોન સામે એડવાન્સ ચેક આપેલા છે. આ ચેક બેંકમાં વસુલાત પેટે નાંખશે. જેમાં ચેક રિટર્નમાં નિગમ હવે આવા લાભાર્થીઓ સામે નાછૂટકે કોર્ટમાં ચેક રિટર્નના કેસ કરશે. જ્યારે લોનથી મેળવેલ વાહન, સાધનના કિસ્સામાં લોન ભરપાઇ નહીં કરનારના વાહન, સાધન જપ્તી કરવામાં આવી શકે છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:56 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:વિકાસનો વિરોધાભાસ : આઇકોનિક રોડની બાજુની જ જગ્યામાં બાંધકામ વેસ્ટના ઢગલા

મહેસાણા શહેરમાં વિકાસના કાર્યો અને ઉપેક્ષાનો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા સોમનાથ ચોકડીથી માનવ આશ્રમ સુધીના રોડને આઇકોનિક બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, સુશોભિત થઈ રહેલા આ જ રોડને અડીને આવેલા અમરપરા તરફના નાકા પાસે વિશાળ સરકારી જગ્યા વર્ષોથી વેરાન હાલતમાં પડી છે. વિકાસના અભાવે બાંધકામ વેસ્ટ નાખવાથી ડમ્પ સાઈટ બની ગઈ છે. અહીં કચરો ઠલવાય છે અને બાવળ ઉગી નીકળ્યા છે. લોકો ટોયલેટ તરીકે પણ ઉપયોગ કરે છે. નાગરિકોએ મનપાના વિકાસની દ્રષ્ટિ પર સવાલ ઉઠાવ્યો છે કે, એક તરફ રોડ સુશોભિત કરાઈ રહ્યો છે, ત્યારે બાજુની જગ્યા કેમ ઉજ્જડ છોડી દેવાઈ છે. રસપ્રદ બાબત એ છે કે, મહાનગરપાલિકાએ બાંધકામ વેસ્ટ નિકાલ માટે મશીનરી વસાવી હોવા છતાં, આ સ્થળે વેસ્ટનો જથ્થો સતત વધી રહ્યો છે. જગ્યા મનપાની હશે તો ડેવલપ કરાશેઆ મુદ્દે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરને પૂછતાં તેમણે કહ્યું કે, ટીપી શાખાને સૂચના આપી છે કે જગ્યા કેટલી છે અને કોના હેડમાં ચાલે છે, તેની ચકાસણી કરી રિપોર્ટ રજૂ કરવામાં આવે. આ જગ્યા ડેવલપ થાય તેવો પ્રયાસ રહેશે. પાર્ટી પ્લોટ, લાયબ્રેરી, કોમ્યુનિટી હોલ કે બગીચો બનાવાય તો સ્થાનિકોને ઉપયોગી થાય : રહીશો વિસ્તારની સુરધારા સોસાયટીના સેવંતીભાઈ સોલંકીએ જણાવ્યું કે, આ વિશાળ જગ્યા પર મહાનગરપાલિકા પાર્ટી પ્લોટ બનાવે તો લોકોને પ્રસંગોમાં ઉપયોગી બની શકે અને મનપાને આવક પણ થાય. અન્ય એક રહીશ કલ્પેશભાઇ સકસેનાએ આ જગ્યાએ લાયબ્રેરી, કોમ્યુનિટી હોલ કે બગીચા જેવું ડેવલપમેન્ટ કરવું જોઇએ, જેનો લાભ વિસ્તારના લોકોને મળી શકે તેમ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:55 am

દવાખાનું ખંડેર બન્યું:નગરપાલિકામાં તબીબની જગ્યા રદ થયાના 10 વર્ષથી બંધ દવાખાનામાં ફર્નિચર, કાગળ ઉપર ધૂળના થર જામ્યા

શહેરની મધ્યમાં તોરણવાળી ચોકમાં આવેલા સીંધી માર્કેટથી જાણિતા નગરપાલિકાના વર્ષો જૂના શોપિંગ સેન્ટરના પ્રથમ માળે ચાર રૂમ 16 થી 19માં છેલ્લે વર્ષ 2014 સુધી દવાખાનું ચાલતું હતું. અહીં ર્ડા.કંદોઇ હતા તે સમયે દર્દીઓની નિ:શુલ્ક સારવારથી આ દવાખાનું ધમધમતું હતું. છેલ્લા 10 વર્ષથી આ દવાખાનું બંધ છે. પરિણામે ટેબલ, ખુરશીઓ, કેસના કાગળ વગેરે ઉપર ધૂળના થર જામી ગયાં છે. દવાખાનું પણ ખંડેર બની ગયું છે. મહાનગરપાલિકામાં મહેકમમાં ડેપ્યુટી હેલ્થ ઓફિસર સહિતની જગ્યાઓ આવશે. પરંતુ, મનપા બન્યાના 10 મહિના થઇ ગયા છતાં નગરપાલિકાની માલિકીની આ જગ્યાની કોઇ જાળવણી કરાતી નથી. એક નિવૃત્ત કર્મચારીએ કહ્યું કે, સૌપ્રથમ આઝાદ ચોકમાં દવાખાનું ચાલતું, ત્યાંથી અહીં સીંધી માર્કેટમાં લાવેલા, જ્યાં નગરપાલિકાના તબીબ બેસતા. પરંતુ, પાછળથી નગરપાલિકાના મહેકમમાં તબીબની જગ્યા રદ કરાઇ, ત્યારથી દવાખાનું બંધ પડ્યું છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:53 am

ભાસ્કર એનાલિસીસ:ફોર્મ અપલોડમાં 83% સાથે મહેસાણા રાજ્યમાં 18મા ક્રમે, 81.11% મતદારોનું નામ 2002 મુજબ મેપિંગ થયું

ખાસ મતદાર યાદી સુધારણામાં ફોર્મ ડિજિટલાઇઝેશનમાં 83.18 ટકા સાથે મહેસાણા જિલ્લો રાજ્યમાં 18મા ક્રમે છે. ડાંગ 92.63% સાથે પ્રથમ અને ગીર સોમનાથ 88.14% સાથે બીજા ક્રમે છે. ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો 87.84% સાથે રાજ્યમાં ત્રીજા, સાબરકાંઠા 87.74% સાથે ચોથા, પાટણ 85.81% સાથે 9મા ક્રમે અને અરવલ્લી જિલ્લો 85.81% સાથે રાજ્યમાં 12મા ક્રમે છે. ફોર્મ ડિજિટલાઇઝેશનમાં 81 ટકા કરતાં ઓ છી કામગીરીમાં રાજ્યની 182 વિધાનસભા પૈકી 63 વિધાનસભાને રેડઝોનમાં મૂકાઇ છે. જેમાં મહેસાણા વિધાનસભાનો પણ સમાવેશ થાય છે. અહીં 78 ટકા કામગીરી પૂરી થઇ છે. મહેસાણા જિલ્લાના સાત વિધાનસભા ક્ષેત્રમાં રવિવાર સુધીમાં 1810 બીએલઓએ 14,53,649 (81.12 ટકા) મતદારોનાં ફોર્મ ડિઝિટલાઇઝ કરી દીધા છે અને હજુ આ કવાયત ચાલી રહી છે, જેમાં 40 વર્ષથી વધુ વયના 6,43,155 મતદારોનું નામ વર્ષ 2002ની યાદીમાં મળી આવતાં સેલ્ફ મેપિંગ કરાયું છે. જ્યારે 40 વર્ષથી ઓછી વયના યુવા મતદારો અને 2002ની યાદીમાં નામ ન મળતું હોય તેવા 7,02,388 (39.20 ટકા) મતદારોનું તેમના માતા, પિતા કે દાદા, દાદીના નામ સાથે 2002ની યાદીમાં મેપિંગ કરાયું છે. મેપિંગમાં યુવા મતદારોનું પ્રમાણ ત્રણ ટકા વધુ રહ્યું છે. જ્યારે જિલ્લામાં 1,07,828 (6.02 ટકા) મતદારોનું મેપિંગ થયું નથી. જિલ્લામાં 1,09,715 મતદારોનાં નામ રદ થશે :જિલ્લામાં કુલ 1,09,715 (6.12 ટકા) મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાંથી રદ થશે. જેમાં મૃત્યુ પામેલા 43631, ન મળ્યા હોય એવા 43631, કાયમી સ્થળાંતર 53355 , ડુપ્લીકેટ 9055 તેમજ 201 અન્ય મતદારો છે. મામલતદાર કેમ્પમાં 200 ‎મતદારોએ ફોર્મ ભરાવી જમા કરાવ્યા‎ગણતરી ફોર્મ કલેક્શન માટે બીએલઓ ઘરે ઘરે ફર્યા તે વખતે ફોર્મ ન ભરાયા હોય, બુથ કેમ્પમાં બેઠા તે વખતે ફોર્મ આપવા ન આવી શક્યા હોય તેવા મતદારોનો મહેસાણા મામલતદાર સંકુલમાં શનિવાર અને રવિવારે યોજાયેલા કેમ્પમાં 2002ની યાદીમાં નામ શોધી ફોર્મ ભરાવી જમા કરાવવા ધસારો રહ્યો હતો. બંને દિવસ સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી 200થી વધુ મતદારોએ મામલતદાર કચેરીના કેમ્પનો સહારો લીધો હતો. એક મતદારના પિતાની અટક 2002માં અલગ હતી અને હાલ અલગ છે, હવે મતદારે હાલની અટક સાથે નામ શોધવા ઓપરેટરને આપતાં ના મળ્યું. ફરી પૂછતાં મતદારે કહ્યું કે અટક બદલેલી છે ત્યારે મેળ પડ્યો. ભાસ્કર ઇનસાઇડહજુ 11 ડિસેમ્બર સુધી ફોર્મ આપી શકાશેમહેસાણા પ્રાંત અધિકારી ઉર્વિશ વાળંદે જણાવ્યું કે, ગણતરી ફોર્મ ડિઝિટલાઇઝનો સમયગાળો 4 ડિસેમ્બર સુધી હતો. તે તા.11 ડિસેમ્બર સુધીનો કર્યો છે. એટલે કોઇ રહી ગયું હોય તો તેમનાં ફોર્મ આ દરમિયાન લઇ શકાશે. આ મુદત વધારાથી બીએલઓને પણ ફોર્મ ડિઝિટલાઇઝ કરવામાં થોડો વધુ સમય મળી રહેશે. હવે પ્રથમ ડ્રાફ્ટ મતદાર યાદી તા.16 ડિસેમ્બરના રોજ પ્રસિદ્ધ થશે. જિલ્લામાં અત્યાર સુધીમાં નામ રદ થવા પાત્ર મતદારો

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:53 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:દિવસ-રાત કામગીરી : શિક્ષકો દિવસે શાળા અને રાત્રે ઘરે-ઘરે ફરીને SIR પ્રક્રિયામાં વ્યસ્ત

હાલમાં ચાલી રહેલી બીએલો દ્વારા SIR મતદાર યાદી સુધારણાની કામગીરી અંતર્ગત છેવાડાના લખપત તાલુકામાં અપૂરતા પ્રાથમિક શિક્ષકો વચ્ચે શાળાઓમાં ફરજ બજાવતા એકમાત્ર શિક્ષકને બીએલઓની કામગીરી સોંપવામાં આવેલ હોવાથી શિક્ષણ કાર્યની સાથે મોડી રાત સુધી શિક્ષકો દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ શાળાઓમાં ફરજ બજાવતા એકમાત્ર શિક્ષકને શિક્ષણ કાર્ય,વહીવટી કાર્ય સાથે વધારાની સોંપવામાં આવેલી કામગીરી પણ સંભાળી રહ્યા છે. લખપત તાલુકાની પીપર, ગુનાઉ, ભૂટાઉ, હરૂડી, ખીરસરા, સમેજાવાંઢ, માણકાવાંઢ,કોરાવાંઢ સહિતની પ્રાથમિક શાળાઓમાં માત્ર એક એક શિક્ષક ફરજ બજાવે છે. જોકે આ શિક્ષકોને શાળાઓમાં બાળકોને શિક્ષણ આપવાની સાથે વહીવટીકાર્ય કરવાની સાથે સોંપવામાં આવેલી બીએલઓની કામગીરીને કારણે શાળાઓમાં શિક્ષણ કાર્યને અસર થવાની સાથે આવા શિક્ષકોને મોડી રાત્રે સુધી SIR મતદાર યાદી સુધારણાની કામગીરી કરવી પડતી હોવાથી મુશ્કેલી વચ્ચે આ કામગીરી કરી રહ્યા છે. છેવાડાના સરહદીય વિસ્તાર પીપરમાં રાત્રિના સમયે રોડલાઈટના પ્રકાશમાં એક મકાનના ઓટલા પર બેસીને કામગીરી કરતા બીએલઓ જોઇ શકો છે. જ્યારે ગુનાઉ બીએલઓ વી ડી ગાવીતે જણાવ્યું હતું કે શાળામાં એક જ શિક્ષક હોવાથી આ કામગીરી શિક્ષણ કાર્યની સાથે જ શાળામાં કરી રહ્યા છે. શાળા બાદ પણ રાતના મોડે સુધી આ કાર્ય કરતા હોવાની સાથે 80 ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી હોવાનું જણાવ્યું હતું. જ્યારે હરૂડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ગૌરાંગભાઈ હજુ બે મહિના અગાઉ થયેલ શિક્ષક ભરતી દરમિયાન અહીં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. હરૂડી તેમજ ખરોડા ગામના અંદાજિત 370 કેટલા મતદારોની મતદારયાદી સુધારણાની કામગીરી કરવાની સાથે શાળામાં બાળકોને ભણાવવા તેમજ વહીવટી કાર્ય કરવું પડે છે. એકજ શિક્ષક તેમજ હજુ હાલમાં જ આવેલ હોવાથી મુશ્કેલી વચ્ચે શાળા ક્યા બાદ સાંજે મોડે સુધી આ કામગીરી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જ્યારે સમેજાવાંઢના બીએલઓ ભરતભાઈ એ પણ જણાવ્યું હતું કે એક જ શિક્ષક હોવાથી થોડી મુશ્કેલી પડે છે પરંતુ ગામના 190 જેટલા મતદારો હોવાથી દરેકને શાળાએ બોલાવીને શિક્ષણ કાર્યની સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે. જે લોકો ખેતીવાડીમાં કામ કરવા જતા હોય અને શાળાએ ના આવી શકે તેવા લોકો પાસે સાંજે મોડેથી રૂબરૂ મળીને આ કામગીરી કરવાની સાથે બાદમાં ઓનલાઇનની કામગીરી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જ્યારે માણકાવાંઢના કલ્પનાબેન મોદીએ વાત કરતા જણાવ્યું હતું કે ગામના સવાસોથી દોઢસો જેટલા મતદારો છે. જેમાં ગામ લોકોના સહયોગથી 100 ટકા કામગીરી પૂર્ણ કરી છે. જો કે લખપત તાલુકામાં અપૂરતા શિક્ષકો વચ્ચે ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં ફરજ બજાવતા એકમાત્ર શિક્ષકોને કારણે શિક્ષણ કાર્ય ની સાથે મોડી રાત સુધી આ કાર્ય કરવું પડતું હોવાનું પણ શિક્ષકોએ જણાવ્યું હતું. શાળામાં શિક્ષણ કાર્યની સાથે મતદાર યાદી સુધારણાની કામગીરીભુટાઉ પ્રાથમિક શાળાના શિક્ષક ડામોરે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે સવારે આઠથી બપોરે એક વાગ્યા સુધી શાળામાં શિક્ષણ કાર્યની સાથે મતદાર યાદી સુધારણાની કામગીરી કરી રહ્યા છે. તે સાથે તેમણે જણાવ્યું હતું કે પોતાને પીપર ઉપરાંત ગુગરીયાણા, ધ્રાંગાવાંઢ, ભૂટાઉં, મેડી સહિતના ગામોને કામગીરીમાં અંદાજિત 975 જેટલા મતદારો છે. એ પૈકી અમુક ગામોમાંથી મતદારો શાળામાં આવે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો ખેતી કામની સાથે કંપનીમાં નોકરી કરવા જતા હોય તેવા લોકો અહીં સુધી આવતા ન હોવાથી દરેક મતદાર સુધી પહોંચીને પોતે આ કામગીરી કરી રહ્યા છે. સાથે આ કામગીરી મોડી રાત્રે સુધી ચાલતી હોવાનું કહ્યું હતું. તેમજ શાળામાં આ કામગીરી કરતા હોય ત્યારે બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે ગામની ધોરણ 8ની એક વિદ્યાર્થીની આવે છે અને તે બાળકોને ભણાવે છે. રાત્રિના ઓનલાઇન માટેની પણ કામગીરી મોડી રાત સુધી કરવી પડે છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:11 am

ભાસ્કર એક્સક્લુસિવ:સરકારી શાળાઓમાં 10મી ડિસેમ્બર સુધી જિલ્લા ફેર બદલી મંજૂરીવાળા પ્રાથમિક શિક્ષકોને છૂટા કરાશે

કચ્છની સરકારી પ્રાથમિક શાળાઓમાં જિલ્લાફેર બદલી મંજૂરીવાળા 1200 જેટલા શિક્ષકો છે, જેમાં 900 જેટલા નિયમ મુજબની મુદ્દતે આવી ગયા છે, જેમાંથી 600 જેટલા છૂટા કરવાની મંજૂરી મેળવી લીધી છે અને 450ને છૂટા કરવાની તૈયારીઓ ચાલી રહી છે. હવે જિલ્લા શિક્ષણ સમિતિએ 10મી ડિસેમ્બર સુધી છૂટા કરવા નિર્ણય લઈ લીધાના હેવાલ છે. શુક્રવારે શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા અને મહામંત્રી કેરાણા આહિરની આગેવાની હેઠળ 100 જેટલા જિલ્લાફેર બદલી મંજૂરી કરાવી લેનારા પ્રાથમિક શિક્ષકોએ ઈનચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા પાસે વેળાસર છૂટા કરવા રજુઆત કરી હતી અને 4 ડિસેમ્બર સુધી છૂટા કરવામાં ન આવે તો પછી જિલ્લા પંચાયતમાં ધરણા સહિતના કાર્યક્રમો યોજવાની ચિમકી આપી હતી. જે બાદ તેઓ કલેકટર આનંદ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી ગાૈત્તમ ઉત્સવ પાસે પણ રજુઆત કરી હતી. હવે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા અને શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવી પાસે રજુઆત કરવાના છે, જેમાં 4થી ડિસેમ્બર સુધી છૂટા કરવાની તારીખ નક્કી ન થાય તો 6 ડિસેમ્બરથી જિલ્લા પંચાયતના પ્રાંગણમાં ધરણા યોજવાની ચિમકી પણ ઉચ્ચારી છે. જોકે, સતત જિલ્લા પંચાયતમાં આવતા શિક્ષકોને હૈયાધારણ અપાઈ હતી કે, શિક્ષણ સમિતિએ 10મી ડિસેમ્બર સુધી છૂટા કરવાનો નિર્ણય લઈ લીધો છે. આમ, એક બાજુ બી.એલ.ઓ.ની કામગીરીમાં રોકાયેલા પ્રાથમિક શિક્ષકો અને બીજી તરફ જિલ્લાફેર બદલીથી છૂટા થનારા શિક્ષકોને કારણે સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર આડ અસર પડે એવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. પ્રવાસી શિક્ષકો નિમી ઘટ પૂરવામાં આવશે : ડીપીઈઓશિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર આડ અસર પડવા મુદ્દે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, જ્ઞાન સહાયકની નિમણૂકની જાહેરાત અપાઈ ગઈ છે. આમ છતાં ઘટ રહેશે તો પ્રવાસી શિક્ષકોથી ઘટ પૂરવાની પણ સરકાર દ્વારા તૈયારી રખાઈ છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:07 am

બાર કાઉન્સિલની પરીક્ષા:વકીલાત માટેની પરીક્ષામાં જૂના, નવા બંને કાયદાના પ્રશ્નો પુછાયા, પેપર લેન્ધી લાગ્યું

દેશભરમાં વકીલાત માટેની પ્રેક્ટિસ કરવા માટે યોજાતી ઓલ ઈન્ડીયા બાર કાઉન્સીલની પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ અમદાવાદ , સુરત અને રાજકોટના સેન્ટર પર પરીક્ષા આપવા માટે વકીલાતનો અભ્યાસ કરનારા વિદ્યાથીઓ આવ્યા હતા. આ વર્ષે સમગ્ર રાજ્યમાં 13660 વિદ્યાર્થીઓ એનરોલ થયા છે. ત્યારે રવિવારેે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા. આ વર્ષે પાંચમા સેમેસ્ટરમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓએ પણ પરીક્ષા આપી હોવાથી મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ જોવા મળ્યા હતા. પરીક્ષા બપોરે 1થી 4 કલાકે યોજવામાં આવી હતી. પરીક્ષા ઓપન બુક હોવાથી ઉમેદવારો સવારથી જ સેન્ટર પર પહોંચી ગયા હતા. આ વર્ષે સુરક્ષામાં પણ સુધારો જોવા મળ્યો હતો. આ વર્ષે બાર કાઉન્સિલની પરીક્ષા નવા ત્રણ કાયદા અનુસાર યોજવામાં આવી હતી. પ્રશ્નો ફેરવીને પુછાયા હતા, તૈયારી કરનાર માટે સરળપરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થી માર્ગીશ જોષીએ જણાવ્યું કે, હું 80% દિવ્યાંગ છું. મને ગ્રાઉન્ડ ફલોર પર જ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. આ વર્ષે પેપરમાં થોડાં ટ્રીકી પ્રશ્નો હતા. પેપર સરળ પણ ન હતું અને એટલું અઘરું પણ ન હતુંદરેક પરીક્ષાની એક પેટર્ન હોય છે. એઆઈબીઈની પરીક્ષાની પણ એક પદ્ધતિ છે. આ પરીક્ષા ઓપન બુક હોવાથી કયા કાયદાનું કેટલું વેઈટેજ છે. ઓપન બુક હોવાથી વિદ્યાર્થીઓ પરીક્ષાને હળવાશમાં લેતા હોય છે જેથી પેપર અઘરંુ લાગે છે પરંતુ આ વર્ષે પેપર મધ્યમ રહ્યું છે. - વૈદેહી ત્રિવેદી પ્રોફેશનલ ગાઈડ ફોર કોમ્પિટિટિવ લૉ એક્ઝામ ‘3 કલાકમાં 100 પ્રશ્ન સોલ્વ કરવા અઘરા લાગ્યા હતા’એચ.કે. આર્ટસ કોલેજમાં ભુજથી પરીક્ષા આપવા આવેલી અવનિએ જણાવ્યું હતું કે, પેપર સહેલું હતું પણ ખૂબ જ લાબું હતું. ત્રણ કલાકના પેપરમાં 100 પ્રશ્નો સોલ્વ કરવા અઘરાં હતા.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:00 am

ગામ ગામની વાત:સીદસર ગામમાં વિવિધ સંસ્થાના સહયોગથી 3 વર્ષમાં 15 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર થયું

જામનગર થી 100 કિલોમીટર દૂર આવેલા અને 3000 ની વસ્તી ધરાવતા સીધસર ગામમાં લોકો પોતાનો સામાજિક પ્રસંગ સારી રીતે પાર પાડી શકે તે હેતુથી ત્રણ કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગામમાં હરિયાળી બની રહે તે હેતુથી છેલ્લા ત્રણ વર્ષમાં અલગ અલગ સંસ્થાના સહયોગથી 15 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. હાલમાં પંચાયત ઓફિસના રેનોવેશનનું કામ પણ ચાલી રહ્યું છે જે ટૂંક સમયમાં જ પૂર્ણ થશે. ગામમાં આવેલી સુવિધા અંગે વાત કરવામાં આવે તો ગ્રામજનોને ગામની અંદર આવાગમન કરવામાં મુશ્કેલી ન પડે તે હેતુથી ગામની શેરી ગલીઓમાં સમગ્ર ગામમાં પેવર બ્લોક નાંખવા આવ્યા છે આ ઉપરાંત આરસીસી રોડ બનાવવામાં આવ્યા છે. ગામના બાળકોને આધુનિક ઢબે શિક્ષણ અને નવી ટેકનોલોજી સાથે સતત અવગત રહે તે હેતું થી ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં સ્માર્ટ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે. ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી સમગ્ર ગામમાં કચરા ટોપીનો વિતરણ પણ કરવામાં આવ્યું છે દરરોજ ચાર સફાઈ કર્મચારીઓ દ્વારા દિવસમાં ત્રણ વખત કચરો એકઠો કરવામાં આવી રહ્યો છે. જિલ્લાને સૌથી સ્વચ્છ ગામ એવોર્ડ મળ્યો ગામની સુરક્ષામાં વધારો થાય અને પોલીસની ત્રીજી આંખ ગણાતા એવા 40 જેટલા સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા છે આ ઉપરાંત હાલમાં પંચાયત ઓફિસનું રીનોવેશનનું કામ પણ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગામ અને જિલ્લામાં સૌથી સ્વચ્છ ગામનો એવોર્ડ પણ સરકાર દ્વારા એનાયત કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:00 am

મન્ડે ફોટો સ્ટોરી:ઉચ્છવાસ સાથે શ્વાસ પણ ઝેરી, આ ધુમ્મસ નહીં પણ પ્રદૂષણનું આવરણ છે, ગોત્રી સહિત 3 વિસ્તારમાં એક્યુઆઇ 300ને પાર

પ્રણય શાહ | વડોદરા દિલ્હી સહિતનાં શહેરોમાં વાયુ પ્રદૂષણ વકરી રહ્યું છે ત્યારે પાલિકાનાં સેન્સર મશીનોમાં છાણી, ટ્રાન્સપેક વિસ્તારમાં એક્યુઆઇ 300ને પાર દર્શાવે છે. જ્યારે ગોત્રી, સુભાનપુરા, દાંડિયાબજાર, મકરપુરામાં સાંજે એક્યુઆઇ 300 નજીક પહોંચે છે. ગોત્રીની તસવીરમાં ધુમ્મસ નહીં વાયુ પ્રદૂષણનું આવરણ છે. પર્યાવરણ કર્મશીલ રોહિત પ્રજાપતિએ કહ્યું કે, હવાનું પ્રદૂષણ વાહનો, ખોદકામ, ઉદ્યોગો અને બાંધકામને આભારી છે. વિવિધ વિસ્તારોનો એક્યુઆઇ

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:00 am

BCA દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ:ભારત-ન્યૂઝીલેન્ડ વન ડે, કોટંબીમાં 30 હજાર દર્શકો આવશે

ભારત-ન્યૂઝીલેન્ડની પહેલી મેન્સ ઈન્ટરનેશનલ વન-ડે મેચને લઈ બીસીએ દ્વારા પૂરજોશ તૈયારી શરૂ કરાઈ છે. 11 જાન્યુઆરી, 2026ના રોજ યોજાનાર મેચને લઈ બીસીએ દ્વારા 8 ક્ષેત્રે વેન્ડર્સ પાસેથી દરખાસ્ત મગાવી છે. કોટંબી સ્ટેડિયમમાં 30 હજાર દર્શકોની સુવિધા પૂરી પાડવા માટે કેટરિંગ, સિક્યુરિટી સર્વિસીસ, વેલે પાર્કિંગ, ટિકિટિંગ સોલ્યુશન, ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી સહિતના વેન્ડર્સ પાસેથી દરખાસ્ત મગાવવામાં આવી છે. આ દરખાસ્ત મોકલવાની છેલ્લી તારીખ 5 ડિસેમ્બર છે. લગભગ 10 દિવસ બાદ મેચનું સમગ્ર આયોજન નક્કી કરી દેવાશે. બીજી બાજુ ભારત-ન્યૂઝીલેન્ડની બંને દેશની ટીમ 6-7 જાન્યુઆરીએ વડોદરા પહોંચે તેવી સંભાવના છે. તેમની સુવિધા માટે પણ તૈયારી કરાશે. બીજી બાજુ વન ડે પૂર્ણ થયાના 8 દિવસ પછી વુમન્સ પ્રિમિયર લીગની 11 મેચ શરૂ થશે. ભાસ્કર ઇનસાઇડવેન્ડર્સને સ્ટેડિયમ બતાવી અંદાજ મગાશે, 50 સભ્યની કમિટી બનશેઆંતરરાષ્ટ્રીય મેન્સ વન ડે માટે કોટંબી સ્ટેડિયમમાં જુદા જુદા વેન્ડર્સ ભાગ લેશે. વેન્ડર્સને 3 ડિસેમ્બરે સ્ટેડિયમમાં વિઝિટ કરવા બોલાવાશે અને સ્ટેડિયમને બતાવીને ક્યાં શું થઈ શકે છે, શું પ્લાનિંગ છે સહિતના મુદ્દે ચર્ચા કરીને પછી ક્વોટેશન માગવામાં આવશે. ત્યારબાદ બીસીએના 50થી વધુ સભ્યોની કમિટી પણ બનાવાશે, જે વિવિધ ક્ષેત્રે કામગીરી થઈ રહી છે કે કેમ તેનું ધ્યાન રાખશે, અથવા અન્ય કોઈ કામ કરાવશે. આગામી સમયમાં સંપૂર્ણ આયોજનનું બ્રીફિંગ કરાશે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:00 am

દર્દીઓનાં સગાંઓને હાલાકી:એસએસજીનું વિશ્રાંતિ ગૃહ બંધ, દર્દીના સગાં ખુલ્લામાં રહેવા મજબૂર

સયાજી હોસ્પિટલની સામે દર્દીઓના સ્વજનોની સુવિધા માટે વિશ્રાંતિ ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે રોડ ઓળંગીને સામે જવાનું હોવા છતાં દર્દીઓનાં સગાં ત્યાં જતા નહોતા. જેને કારણે તે છેલ્લાં 2 વર્ષથી બંધ હાલતમાં પડી રહ્યું હતું. હાલમાં આ બિલ્ડિંગને હોસ્ટેલમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું છે. આ સંજોગોમાં હાલમાં પડી રહેલી ઠંડીમાં દર્દીઓ હોસ્પિટલની બહાર ખુલ્લામાં સૂવા માટે મજબૂર બન્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સયાજી હોસ્પિટલના દર્દીઓના સ્વજનો માટે સીએસઆર થકી આ બિલ્ડિંગનું નિર્માણ કરાયું હતું. જોકે લોકોએ આ બિલ્ડિંગનો ઉપયોગ કર્યો નહોતો. સાવ નજીવા શુલ્ક સાથે 24 કલાક માટે દર્દીના સગાને રૂમ આપવામાં આવતા હતા.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:00 am

ઉત્કૃષ્ટ પ્રદર્શન:ભુજ સ્વામિ.કન્યા વિદ્યામંદિરની છાત્રાઓ રાજ્ય કક્ષાએ ઝળકી

ભુજ સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની વિદ્યાર્થિનીઓની યોગમાં રાજ્ય કક્ષાએ પ્રશંસનીય જીત મેળવી કાંસ્ય ચંદ્રક એનાયત કરાયા છે. રમતગમત પ્રવૃત્તિ, ગાંધીનગર દ્વારા રાજ્ય કક્ષાની યોગની સ્પર્ધાનું આયોજન કચ્છ મુકામે કરાયું હતુ. જેમાં સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની દિકરીઓએ કચ્છનું પ્રતિનિધિત્વ કરી તૃતીય ક્રમે જીત મેળવી કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યું છે. જેમણે કચ્છ અને શાળાને ગૌરવ અપાવ્યું છે. સમગ્ર રાજ્યમાં અંડર-17 વિભાગમાં રિધમીક પેરયોગમાં વરસાણી દિશા અને વેકરીયા દર્શના તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો તેમજ અંડર - 19 વિભાગમાં આર્ટીસ્ટીક યોગમાં ચવાણ કિષ્ના અને વરસાણી હેન્સી તૃતિય નંબર પ્રાપ્ત કર્યો છે. દીકરીઓના પ્રશંસનીય પ્રદર્શન બદલ ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી, સમસ્ત સંત મંડળ, સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ સહ સમસ્ત સાંખ્યયોગી બહેનો સહિત મંદિરનું ટ્રસ્ટી મંડળ, સંસ્થા પ્રમુખ રામજીભાઈ વેકરિયા, મંત્રી પ્રવીણભાઈ પિન્ડોરિયા, સંચાલક મંડળ, સંસ્થાના આચાર્યા દક્ષાબેન પીન્ડોરિયા, કોચ રશ્મિતાબેને અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:00 am

લોકોમાં રોષની લાગણી ફેલાઈ:આહવા શહીદ સ્મારક પરથી સૈનિકની પ્રતિમાની ‘ટોપી' અને બંદૂક' ગાયબ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં શહીદ સ્મારક પરથી સૈનિકની પ્રતિમાની ‘ટોપી' અને 'બંદૂક' ગાયબ થઇ જતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં આવેલા શહીદ સ્મારક પર સ્થાપિત ભારતીય સેનાના જવાનની પ્રતિમા પરથી અજાણ્યા તત્વો દ્વારા તેમની ટોપી અને બંદૂક ગાયબ કરી દેવામાં આવતા ચકચાર મચી ગઇ છે. આ ઘટના અંગેની જાણ સ્થાનિક જાગૃત નાગરિક હરીરામ સાવંતે ટેલિફોનિક માધ્યમથી ડાંગના પીઆઇને કરી હતી. તાત્કાલિક અસરથી પીઆઇ દ્વારા સ્મારક સ્થળની મુલાકાત લેવામાં આવી હતી અને આ બાબતે જરૂરી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ડાંગ જિલ્લાનું આ શહીદ સ્મારક રાષ્ટ્રપ્રેમ અને દેશ માટે બલિદાન આપનાર વીરોની યાદ અપાવે છે. આ પવિત્ર સ્થળેથી પ્રતિમાના મહત્ત્વપૂર્ણ ભાગોની ચોરી કે નુકસાનની ઘટના બનતા સ્થાનિક લોકોમાં દુઃખ અને રોષની લાગણી ફેલાઇ છે. પોલીસે આ અસામાજિક કૃત્ય કરનારા તત્વોને ઝડપી પાડવા માટે સઘન તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:00 am

દબાણ કરાયા દૂર:આહવામાં મા.મ વિભાગની નોટિસ બાદ દુકાનદારોએ જાતે જ દબાણ હટાવ્યા

આહવામાં માર્ગ મકાન વિભાગ દ્વારા નોટિસ પાઠવાયા બાદ વેપારીઓએ જાતે જ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હસ્તકના માર્ગો પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માર્ગ મકાન વિભાગે સપાટો બોલાવ્યો છે. માર્ગ મકાન વિભાગ સ્તાની હદમાં કે તેને અડીને લારી-ગલ્લાં, પાકા બાંધકામો અને અન્ય દબાણો ઊભા કરનારા દુકાનદારો અને ફેરિયાઓ જાતે દબાણ હટાવી રહ્યાં છે. માર્ગ મકાન વિભાગ દ્વારા નોટિસમાં સ્પષ્ટ જણાવાયું હતું કે સોમવાર સુધીમાં આ દબાણો સ્વૈચ્છિક રીતે હટાવી લેવા, અન્યથા વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને દબાણ દૂર કરવામાં આવશે અને તેનો ખર્ચ પણ દબાણકર્તા પાસેથી વસૂલવામાં આવશે. આ કડક કાર્યવાહીના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. લાંબા સમયથી આ દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા અને રાહદારીઓને મુશ્કેલી પડતી હતી. નોટિસ મળ્યા બાદ શનિ અને રવિવારે ઘણા દબાણકર્તાઓએ જાતે જ દબાણ હટાવી લેવાની કામગીરી શરૂ કરી હતી. અન્ય જગ્યાએ વ્યવસ્થા નહીં કરાતા વેપારીઓમાં નારાજગી વ્યાપી હતી.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:00 am

મુશ્કેલી:ખેડા મહેમદાવાદ રોડ ઉપર ટ્રક ચાલકે 2 વીજપોલ અડફેટે લેતા ટ્રાફિક જામ

ખેડા મહેમદાવાદ રોડ આવેલ પટેલ વાડી નજીક રવિવારે સવારે ટ્રક ચાલકે રોડની સાઈડમાં આવેલ વીજ પોલને ટક્કર મારતા બે વીજ પોલ રોડ પર ધરાશાયી થતા શહેરમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વીજ પોલ ધરાસાઈ થવાના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ખેડા મહેમદાવાદ રોડ આવેલ પટેલ વાડી નજીક રવિવારે સવારે મહેમદાવાદ તરફથી આવતા ટ્રક ચાલકે રોડની સાઈડમાં આવેલ વીજ પોલ ને ટક્કર મારતા બે વીજ પોલ રોડ ઉપર ધરાશાયી થઈ ગયા હતા. જેથી ખેડા શહેરમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. રવિવાર હોવાથી એમજીવીસીએલના વીજ કર્મીઓ ઘટના સ્થળે દોડી આવતાા હતા. જેમાં માર્ગ પર વીજ પોલ ધરાસાઈ જવાના કારણે એક તરફનો માર્ગ બંઘ થઈ ગયો હતો. જેના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે, એમજીવીસીએલના કર્મચારીઓ દ્વારા વીજ પોલ ઉભી કરી વીજ કનેક્શન નું જોડાણ કરવામાં આવ્યું હતું આ ટ્રક ચાલક સામે કાર્યવાહી કરવામાં આવી છે. કે કેમ અને કેટલા સમય માટે વીજ પુરવઠો બંધ રહ્યો હોય તેની માહિતી માટે ખેડા એમજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર જે જે કાપડિયાનો ટેલીફોનીક સંપર્ક કરતા તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ થકી મોડદર ગામના વર્ષો જૂના રસ્તાના પ્રશ્નનું કાયમી નિરાકરણ થયું

કુતિયાણા પંથકના મોડદર ગામે ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓ પાણીમાં તરાપા મારફતે નદી પસાર કરવાની વર્ષોથી નોબત આવતી હતી ત્યારે આ પ્રશ્ન બાબતે મોડદર ગામના ખેડૂતે મુખ્યમંત્રી સ્વાગત કાર્યકમમાં રજુઆત કરવામાં આવી હતી જેથી મુખ્યમંત્રી રૂબરૂ આ ખેડૂતોની રજુઆત સાંભળી અને તાત્કાલિક નદી પર પુલ અને રોડ બનાવવા રૂ.9 કરોડની રકમ મજૂર કરવામાં આવી હતી. કુતિયાણા તાલુકામાં મોડદર ગામે વર્ષોથી ખેડૂતો તેમજ તેમના બાળકો નદી પાર કરવા માટે તરાપો(લાકડાની હોડી) પાણીમાં નાખી નદી પાર કરતા હતા ત્યારે આ સમસ્યાને લઈને મોડદર ગ્રામજનો દ્વારા જિલ્લાકક્ષાએ પણ અનેક રજુઆત કરવામાં આવી હતી તેમછતાં નિરાકરણ ન થતા મોડદર ગામના લખમણભાઇ મોડદરા અન્ય ખેડૂતોએ મુખ્યમંત્રી સ્વાગત કાર્યકમમાં ભૂપેન્દ્ર પટેલ સમક્ષ તેમના ગામના રસ્તાનો પ્રશ્ન રજૂ કર્યો. મુખ્યમંત્રીઆએ ગ્રામજનોને ધ્યાનથી સાંભળ્યા હતા મુખ્યમંત્રી ને લાગ્યું કે, ગ્રામજનોનો પ્રશ્ન વાજબી છે. અને તેનાથી ખેડૂતો, વિદ્યાર્થીઓ અને અન્ય ગ્રામજનોની સુખાકારી વધશે. તેમને તરત જ રૂ. 9 કરોડ મંજૂર કર્યા. રસ્તા અને પુલનું કામ મંજુર કરી તાત્કાલિક ધોરણે કામગીરી કરવા સૂચના આપી હતી. હવે મોડદર અને પસવારી ગામ વચ્ચે માઈનોર બ્રિજ, કલવર્ટ અને ત્રણ કિમી રસ્તાની કામગીરી શરૂ થશે. આ કા. માટે રૂ.9 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રીને મળી ગામડે પહોંચ્યાને 9 કરોડ મજૂર થઈ ગયાઅમે મુખ્યમંત્રીને મળીને ગામડે પહોંચ્યા ત્યાં ચોથા જ દિવસે સીએમ કાર્યાલયમાંથી ફોન આવ્યો કે તમારા પ્રશ્નનું નિરાકરણ થઈ ગયું છે.એટલું જ નહીં પરંતુ આ કામગીરી માટે રૂપિયા નવ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દેવામાં આવી છે. અમારા નાના ગામ માટે આ બહુ મોટી વાત છે. >લખમણભાઇ મોડદરા,ગ્રામજન કુતિયાણાનું 20 કિમીનું અંતર ઘટી 8 થશે ઘેડ પંથકના પસવારી અને મોડદર ગામના લોકોને આ પુલના અભાવે કુતિયાણા જવા 20 કિલોમીટર ફરીને જવું પડતું હતું ત્યારે હવે નદી પર પુલ અને રસ્તો બન્યા બાદ કુતિયાણા જવા માટેનું 20 કિલોમીટર અંતર 8 કિલોમીટર થઈ જશે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:00 am

મંડે પોઝીટીવ:77 વર્ષથી સ્કૂલમાં સાઉન્ડ સિસ્ટમ ફિટ કરાઈ:જિલ્લાની એકમાત્ર‎એવી સ્કૂલ કે જ્યાં પ્રાર્થના સાથે દેશભક

પોરબંદર જિલ્લામાં એકમાત્ર એવી ગ્રાન્ટેડ સ્કૂલ કે જ્યાં સવારે વિદ્યાર્થીઓનું સ્વાગત દેશભક્તિના ગીતો સાથે કરાઈ છે તેમજ પ્રાર્થના બાદ અને રિસેશમાં પણ દેશભક્તિના ગીતો વગાડવામાં આવી રહ્યા છે.આ સ્કૂલમાં દેશભક્તિના ગીતો વગાડવા માટે સ્કૂલના ગ્રાઉન્ડમાં તેમજ લોબી સહિતના વિસ્તારોમાં સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવી છે. સામાન્ય રીતે આપડે પ્રજાસત્તાક પર્વ,સ્વાતંત્ર્ય પર્વ તેમજ અમૂક સરકારી કાર્યકમોમાં દેશભક્તિના ગીતો સાંભળવા મળે છે.ત્યારે પોરબંદરમાં એક સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે દેશભક્તિની ભાવના જગાડવાનું બીડું લીધું છે. શહેરની પ્રતિષ્ઠિત અને 77 વર્ષ જુની સ્વ.કવિ દેવજીભાઈ મોઢા દ્વારા સ્થાપિત અને નવયુગ એજ્યુકેશન સોસાયટી પોરબંદર દ્વારા સંચાલિત સરકારી ફી ના ધોરણની ગ્રાન્ટેડ શાળા નવયુગ વિદ્યાલયમાં આજે પણ વહેલી સવારે દેશ ભક્તિના ગીતો માઈકમાં વગાડવામાં આવે છે અને આ ગીતો સાંભળીને વિદ્યાર્થી શાળામાં અભ્યાસ માટે પ્રવેશે છે, ત્યારે એમનામાં એક અનોખી ઉર્જાનો સંચાર થાય છે. શાળામાં દેશભક્તિના ગીતૉ વગાડીને વિદ્યાર્થીઓની અંદર દેશપ્રેમની ભાવના જાગૃત થાય તથા પોતાના જિંદગીનું બલિદાન આપીને દેશની આઝાદી માટે શહીદી વહોરી લેનાર હજ્જારો શહીદોના બલિદાનને વિદ્યાર્થીઓ સમજે અને દરેક વિદ્યાર્થીમાં દેશપ્રેમની લાગણી પ્રજ્વલિત બનાવવાનો આશય સાથે આ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. વિશેષમાં રોજ સવારે પ્રાર્થના સભામાં રાષ્ટ્રગાન વંદે માતરમ્...નું ગાન પણ કરવામાં આવે છે.આ સરકારી શાળામાં આજે પણ દરેક વિદ્યાર્થીની વ્યક્તિગત કાળજી લઈને સરકારી ફી ના ધોરણે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવા માટે શાળાના વર્તમાન આચાર્ય તુષારભાઈ પુરોહિત અને શાળાના તમામ શિક્ષકોની ટીમ સતત પ્રયત્નશીલ છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:00 am

ભાસ્કર વિશેષ:ટેકાના ભાવે પોરબંદર તાલુકાના 21 દિ'માં 1607 ખેડૂતો પાસેથી 36.40 લાખ કિલો મગફળીની ખરીદી કરાઈ

પોરબંદરના માર્કેટયાર્ડ ખાતે પોરબંદર તાલુકાના ખેડૂતો માટે ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે જેમાં 21 દિવસમાં 1607 ખેડૂતો પાસેથી 36,40,875 કિલો મગફળીની ખરીદી કરવામાં આવી છે.કેન્દ્ર દ્વારા રવિવારથી રોજ 200 ખેડૂતોને મગફળીના વેચાણ માટે જાણ કરવામાં આવે છે જેમાંથી 160 ખેડૂતો મગફળીના વેચાણ માટે આવી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં 80 હજાર હેકટરમાં મગફળીના પાકનું વાવેતર થયું હતું.જિલ્લામાં દર વર્ષે મગફળીના પાકનું રેકોડબ્રેક ઉત્પાદન પણ થાય છે તેમજ મોટાભાગના ખેડૂતો દ્વારા ઉત્પાદિત કરેલ મગફળી ટેકાના ભાવે જ દર વર્ષે વેચાણ કરવામાં આવે છે જેથી દર વર્ષે જિલ્લામાં અન્ય જિલ્લાની સરખામણીમાં પોરબંદર જિલ્લામાં વધુ મગફળી ટેકાના ભાવે ખરીદી થાય છે. પોરબંદરના માર્કેટયાર્ડ ખાતે પોરબંદર તાલુકાના ખેડૂતો માટે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી 9 નવેમ્બરથી શરૂ કરવામા આવ્યું હતું. જેમાં 21 દીવસ 1607 ખેડૂતો પાસેથી 1,04,025ગુણી એટલે કે 36,40,875 કિલો મગફળીની ખરીદી કરવામાં આવી છે.કેન્દ્ર દ્વારા રોજ 200 ખેડૂતોને મગફળીના વેચાણ માટે જાણ કરવામાં આવે છે જેમાંથી 160 ખેડૂતો મગફળીના વેચાણ માટે આવી રહ્યા છે. રાત્રીના જ ખેડૂતો પહોંચી જાય છે પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતના ખેતરમાં પડેલ મગફળીના પાથરા પલળી ગયા હતા મગફળી મોડી તૈયાર થઈ હતી ત્યારે હવે ખેડૂતોની મગફળીની તૈયાર થતા ટેકાના ભાવે વેચાણમાં ઘસારો જોવા મળી રહ્યો છે.ખેડૂતો સવારથી પોતાના વાહનો ટેકાના ભાવે મગફળી વેચાણ માટે રાખી દેવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:00 am

ગુલાબી ચમકારો:પોરબંદર જિલ્લામાં ઠંડીનો પારો 2.9 ડિગ્રી ગગડયો

પોરબંદરમાં ગઈકાલે શનિવારની સરખામણીએ રવિવારે લઘુતમ તાપમાન 2.9 ડિગ્રી નીચું આવી લઘુતમ તાપમાન 18.1 ડિગ્રી પહોંચ્યું છે. પોરબંદરમાં છેલ્લા 6 દિવસથી લઘુતમ તાપમાન વધી રહ્યું હતું. ગઈકાલે શનિવારે મહતમ તાપમાન 32 ડિગ્રી રહ્યું હતું જ્યારે રવિવારે પણ મહતમ તાપમાન 32 ડિગ્રી યથાવત રહ્યુ હતું જ્યારે શનિવારે લઘુતમ તાપમાન 21 ડિગ્રી સુધી પહોંચ્યું હતું જેને પગલે ઠંડીનુ પ્રમાણ ઘટ્યું હતું. જ્યારે રવિવારે લઘુતમ તાપમાન 2.9 ડિગ્રી ગગડ્યું છે. રવિવારે લઘુતમ તાપમાન 18.1 ડિગ્રીએ પહોંચ્યું છે. સામાન્ય રીતે દરિયા કિનારે વસેલા પોરબંદરમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી નીચે જાય ત્યારે ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે. લઘુતમ તાપમાન 18.1 ડિગ્રીએ પહોચતા ઠંડીમાં આંશિક વધારો અનુભવાઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:00 am

તંત્રનું બુદ્ધિ પ્રદર્શન‎:ખંભાલિયામાં ને. હાઇવેના મુખ્ય રસ્તા પર લાગેલા CCTV મૃત:પ્રાય અવસ્થામાં

વાંસદા તાલુકાના ખંભાલિયા ગામે સ્થાનિક લોકોના માલસામાનની સુરક્ષાના ભાગરૂપે તથા કોઈ ઘટના ન બને તેની દેખરેખ રાખવાના હેતુથી તથા ચોરીની ઘટનાઓ બનતી હોઈ ત્યારે ચોરોનું પગેરું મેળવવા પોલીસને તીસરી આંખ તરીકે CCTV કેમેરાની શંકાસ્પદોને શોધવા માટે જરૂર પડતી હોય છે. આમ CCTV કેમેરાની મદદથી ગુનાહિત પ્રવૃતિઓના ભેદ સરળતાથી ઉકેલાઈ જતા હોય છે. ગામની તીસરી આંખ સમાન CCTV કેમેરા શોભના ગાંઠિયા બન્યા હોય તેમ હાઇવે પરના વીજપોલ પર લટકતી હાલતમાં મૃત અવસ્થામાં જોવા મળી રહ્યાં છે. સવાલ એ થાય છે કે શું સીસીટીવી કેમેરા લાઈટના થાંભલા પર લગાવવા જોઈએ ? પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરનાર તંત્ર અને કામ કરનાર બિનઅનુભવી એજન્સીઓને આ વાતનું ખ્યાલ તો હશેને કે હાઇવે પર સીસીટીવી કેમેરા ફીટ કરવા એક અલગથી પોલ ઉભો કરવાનો હોય છે. તેની પર પ્રોપર રીતે કેપ્ચર થાય તે રીતે કેમેરા લગાડી સર્વર રૂમ સુધી તેનું પ્રોપર રેકોર્ડિંગ થાય તેનું ઈન્સ્ટોલેશન કરવાનું થતું હોય છે અને તેની દેખરેખ સારા હાઈ ડેફીનેશન ધરાવતી સ્ક્રીન પર કરવાની હોય છે પરંતુ અહીં તો સુનતા ભી બેગાના ઔર દેખતા ભી બેગાના જેવા હાલ છે. કેમેરા વહેલા ચાલુ કરવાની લોકમાગ હાલ નજીકના દિવસોમાં ઉનાઈ તથા ખંભાલિયા પંથકમાં મકરસંક્રાંતિનો મોટો મેળો ભરાવાનો હોઈ આ મેળામાં હજારોની સંખ્યામાં જન મેદની ઉમટી પડતી હોય છે. જેમાં તકસાધુ ટોળકીઓ ચોરીના ઇરાદે અહીં આવી લોકોના માલસામાનને ચોરતા હોય છે જે ઘટનાઓ અગાઉ પણ થઇ હોય સતર્કતાના ભાગરૂપે આ કેમેરા વહેલી તકે ચાલુ કરાવવાની લોકમાંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:00 am

વૃદ્ધ દંપતીએ જીવાદોરી કાપી:મોગારમાં એકલુ રહેતું વૃદ્ધ દંપતીએ ટ્રેન આગળ પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

નવસારી નજીકના મોગાર ગામે એકલા રહેતા વૃદ્ધ દંપતીએ હાંસાપોર ગામમાંથી પસાર થતી રેલવે અપ લાઇન ઉપર ઊભા રહી ટ્રેનની સામે પડતું મૂક્યું હતું. દંપતી મોગાર ગામે પુત્રથી અલગ રહેતા હતા. ક્યા કારણોસર દંપતીએ આપઘાત કર્યું તેના વિશે હજુ પોલીસ પણ ફોડ પાડી શકી નથી. નવસારી તાલુકાના મોગાર ગામે વલ્લભ ફળિયામાં ગુલાબભાઈ કરસનભાઈ પટેલ (ઉ.વ.76) અને તેમની પત્ની દેવીબેન પટેલ (ઉ.વ.74) સાથે રહેતા હતા. તેમની બે દીકરીઓ અને એક દીકરો છે. જેમાં બન્ને દીકરીના લગ્ન થઈ ગયા છે અને દીકરો પત્ની સાથે તેમના ગામમાં અલગ રહે છે. રવિવારે સવારે પટેલ દંપતી હાંસાપોર ગામ નજીકથી પસાર થતા રેલવે ટ્રેક પાસે આવ્યા હતા. સાથે જીવીશું સાથે મરીશું તેમ વૃદ્ધ દંપતીએ સવારે 10થી 11 વાગ્યાના અરસામાં પસાર થતી ટ્રેન આગળ પડતું મૂકી જીવન ટૂંકાવી લીધુ હતું. બે લોકોની મૃતદેહ જોઈને ટ્રેનના ડ્રાઈવરે રેલવે સ્ટેશનમાં જાણ કરી હતી. વિજલપોર પીઆઇ એન.આર રાઠોડને ઘટનાની જાણ કરતા આગળની કાર્યવાહી કરી રહ્યા છે. એન.આર. રાઠોડે જણાવ્યું કે, વૃદ્ધ દંપતી તેમના દીકરાથી અલગ રહેતા હતા. ક્યાં કારણોસર આપઘાત કર્યો તે બાબત હજુ સામે આવી નથી. હાલ તેમના પુત્ર દ્વારા જાણ કરી પણ હજુ નિવેદન લેવાના બાકી હોય ત્યારબાદ આપઘાતનું કારણ જાણવા મળશે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 4:00 am

શાતિર ચોર ગેંગની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ, CCTV:ATM મશીનના કેશ ડિસ્પેન્શનમાં ડબલ ગમ પટ્ટી લગાવતા, ગ્રાહકને કેશ ઉપડાવા જતાં પૈસા ન મળતા; ચારની ધરપકડ

સુરતના સચિન વિસ્તારમાં આવેલી યુકો બેંકના ATMમાં ગ્રાહકોને છેતરીને પૈસા ચોરી કરવાની એક અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. સચિન પોલીસે આ મામલે સક્રિયતા દાખવીને ચાર જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી ચોરી કરેલી રોકડ રકમ પણ જપ્ત કરી છે. જોકે, ચોર ગેંગની શંકાસ્પદ ગતિવિધી ATM મશીનના રૂમના CCTVમાં કેદ થઈ ગઈ હતી. તો બીજી તરફ પોલીસે આરોપીઓને ઝડપી પાડી ઘટનાસ્થળે લાઈવ ડેમો પણ કર્યો હતો. ગ્રાહક ATMમાં પૈસા ઉપાડવા આવે ત્યારે મશીનમાં પૈસા બહાર ન આવતાપોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરોપીઓની આ ગેંગ યુકો બેંકના ATM મશીનમાં કેશ ડિસ્પેન્શન (પૈસા બહાર આવવાનો) સ્લોટ પર ડબલ ગમ પટ્ટી લગાવી દેતી હતી. જ્યારે કોઈ ગ્રાહક ATMમાંથી પૈસા ઉપાડવાનો પ્રયત્ન કરતો ત્યારે મશીનમાંથી બહાર આવતી નોટો આ ગમ પટ્ટીમાં ફસાઈ જતી હતી. ગ્રાહકને લાગતું કે મશીનમાં કોઈ ટેક્નિકલ ખામી છે અથવા તો પૈસા બહાર આવ્યા નથી. નિરાશ થઈને ગ્રાહક ખાલી હાથે ATM કેબિનમાંથી નીકળી જાય ત્યાર બાદ તરત જ આ ગઠિયાઓ ત્યાં આવીને ગમ પટ્ટી સાથે ફસાયેલી નોટો કાઢીને ચોરી કરીને ફરાર થઈ જતાં હતા. બેંક મેનેજરને ATM કેબિનના ડસ્ટબિનમાં ડબલ ગમ પટ્ટી મળીઆ ચોરીની ઘટનાઓ છેલ્લા બે દિવસથી સતત થઈ રહી હોવાની શંકા યુકો બેંકના મેનેજરને થઈ હતી. ATMમાં થતી ગડબડને કારણે તેઓ નિયમિત તપાસ માટે ATM કેબિનમાં પહોંચ્યા હતા. નિયમિત નિરીક્ષણ દરમિયાન તેમને ડસ્ટબીનમાંથી ડબલ ગમ લગાવેલી કાળી પટ્ટી મળી આવી હતી. જેણે ચોરીની પદ્ધતિ તરફ ઇશારો કર્યો હતો. મેનેજરે તાત્કાલિક સચિન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સીસીટીવી ફૂટેજ ચેક કરતા પોલીસને શંકાસ્પદ ગતિવિધી દેખાઈપોલીસે સૌપ્રથમ ATM કેબિનના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાયું હતું કે, એક અજાણ્યો શખસ ATM મશીનના કેશ ડિસ્પેન્શન પાસે શંકાસ્પદ હરકતો કરી રહ્યો છે. આ ઉપરાંત, બીજા જ દિવસે વહેલી સવારે પણ અન્ય એક વ્યક્તિ એ જ રીતે મશીન સાથે છેડછાડ કરતી નજરે પડતાં પોલીસે મામલાની ગંભીરતા સમજીને આરોપીઓને ઝડપી પાડવા માટે જાળ બિછાવી હતી. સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેક્નિકલ સર્વેલન્સના આધારે સચિન પોલીસને આ ગેંગને પકડવામાં મોટી સફળતા મળી છે. પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા ચાર શખસોની ધરપકડ કરી છે. તેમની પાસેથી પોલીસે ચોરી કરેલી આશરે રૂપિયા 30 હજાર જેટલી રોકડ રકમ પણ જપ્ત કરી છે. પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરીઝડપાયેલા આરોપીઓ વિક્કીકુમાર ઉર્ફે રવિકુમાર ગુપ્તા, છોટુકુમાર પાસ્વાન, ક્રિશકુમાર ઉર્ફે રજત ઠાકુર અને ક્રિષ્ણકુમાર ઉર્ફે બબુઆ શર્મા હોવાનું જણાવ્યું છે. સચિન પોલીસે ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે. આ ગેંગે અન્ય કોઈ ATMમાં આવી ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગેની પૂછપરછ ચાલી રહી છે. પોલીસે ગ્રાહકોને પણ ATMમાંથી પૈસા ઉપાડતી વખતે આસપાસની ગતિવિધિઓ પર ધ્યાન રાખવા માટે અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 1 Dec 2025 12:05 am

“માતાજી છે તો જ અમારી સુખ-સમૃદ્ધિ છે”:ભદ્રકાળી માતાજીને બિલ્ડરે અર્પણ કર્યો એક કિલો સોનાનો મુગટ, ઢોલ-નગારા વચ્ચે ચૌહાણ પરિવારે માતાને માથે ચઢાવ્યો તાજ

અમદાવાદમાં નગર દેવી ભદ્રકાળી માતાજીનો અનેરો પરચો જોવા મળે છે ત્યારે નગરદેવી ભદ્રકાળી માતાના ભક્તોમાં પણ અનોખી શ્રદ્ધા જોવા મળી છે. ગત વર્ષે નગર દેવી માતાજીની નગરયાત્રા પણ નીકળવામાં આવી હતી ત્યારે શ્રદ્ધાળુઓ માતાજી પર ખૂબ જ શ્રદ્ધા કે ત્યારે અમદાવાદના એક બિલ્ડર એવા શ્રદ્ધાળુ દ્વારા માતાજીને એક કિલો સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. માતાજીને માથે આ મુગટ કાયમ માટે શોભા માય રહે તેવી શ્રદ્ધાળુની આશાથી ભદ્રકાળી માતાજીને અર્પણ કરવામાં આવ્યો છે. ચૌહાણ પરિવારના તમામ સભ્યો દ્વારા માતાજીમાં ખૂબ જ શ્રદ્ધા રાખવામાં આવે છે તેમજ માતાજી છે તો જ તેઓની સુખ સમૃદ્ધિ અને એશ્વર્ય છે તેવું તેઓ માની રહ્યા છે. આજે 30 નવેમ્બરના રોજ સવારે ઢોલ નગારા તેમજ વાસ્તે રાતે માતાજીનો સોનાનો મુગટ માતાજીના અર્પણ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 10:37 pm

“ગુગલ મેપ રેટિંગ આપો, લાખો કમાઓ”:ટેલિગ્રામ પર 'ટાસ્ક'ના નામે જૂનાગઢના શિક્ષક સાથે ₹1.34 લાખની ઓનલાઈન ઠગાઈ, પોલીસે ગુનો નોંધી તપાસ કરી

જુનાગઢ શહેરના ટીંબાવાડી વિસ્તારમાં રહેતા ખાનગી શાળાના શિક્ષક વિજયકુમાર કિશોરભાઈ વાઘેલા (ઉ.વ. આશરે 30) સાથે ઓનલાઈન ઠગોએ નવી રીતે છેતરપિંડી આચરી છે. ગુગલ મેપ પર રેટિંગ આપવાના 'ટાસ્ક'ના બહાને શરૂઆતમાં નાની રકમ આપી વિશ્વાસ અપાવ્યો ત્યારબાદ તબક્કાવાર કુલ ₹1,34,200 પડાવી લીધા. પીડિત શિક્ષકે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઠગો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા છેતરપિંડીની શરૂઆત​જૂનાગઢમાં અક્ષર વાડી મહંત છાત્રાલય, ટીંબાવાડી ખાતે રહેતા અને છેલ્લા ત્રણ વર્ષથી પ્રાઈવેટ શિક્ષક તરીકે નોકરી કરતા વિજયકુમાર કિશોરભાઈ વાઘેલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તારીખ 21/04/2025ના રોજ તેમના વોટ્સએપ નંબર પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં ગુગલ મેપ પર રેટીંગ આપીને પૈસા કમાવવાની લાલચ આપવામાં આવી હતી. આર્થિક જરૂરિયાત હોવાથી તેમણે મેસેજમાં આપેલી લિંક ઓપન કરીને ગૂગલ મેપમાં એક હોટલને રેટીંગ આપ્યું હતું. ​રેટીંગ આપ્યા બાદ તેમને ટેલિગ્રામ લિંક પર તમામ માહિતી અપલોડ કરવા માટે કહેવામાં આવ્યું હતું અને એક 'વર્કિંગ કોડ' પણ મોકલાયો હતો. તેમણે આપેલી ટેલિગ્રામ આઈડી પર કોડ નાખતા તેમને રૂ. 150 મેળવવા માટે પર્સનલ માહિતી ભરવાનો મેસેજ મળ્યો હતો. શિક્ષકનો ​વિશ્વાસ કેળવીને પૈસા પડાવ્યા​રૂ.150 મેળવવા માટે વિજયકુમારે પોતાનું નામ, ઉંમર, જાતિ, ધંધો, સરનામું, વોટ્સએપ નંબર અને UPI ID સહિતની તમામ વિગતો મોકલી હતી. ત્યારબાદ તેમના Google Pay UPI સાથે લિંક થયેલા એક્સિસ બેંકના એકાઉન્ટમાં તરત જ રૂ. 150 જમા થયા હતા.આ સફળ ટ્રાન્ઝેક્શન બાદ તેમને સ્કીમ પર વિશ્વાસ આવી ગયો. તેમને એક ફોટો મોકલવામાં આવ્યો જેમાં 'ટાસ્ક' પૂરો કરીને વધુ પૈસા કમાવવાની વાત હતી. નવા ટાસ્ક માટે 52 હજાર માગ્યાટાસ્ક પૂરો કરવા માટે 2 હજાર ફોન પેના UPI IDમાં ટ્રાન્સફર કર્યા હતા, જેના બદલામાં તે જ દિવસે તેમના એકાઉન્ટમાં 3 હજાર જમા થયા હતા. આ ટાસ્ક પૂરો થયા બાદ નવા ટાસ્કમાં તેમને રૂ. 52,000 ભરવા માટે કહેવામાં આવ્યું હતું, જે તેમણે તા. 21/04/2025ના રોજ UPI ID દ્વારા ટ્રાન્સફર કર્યા હતા. રૂ. 52,000 ટ્રાન્સફર કર્યા બાદ તેમને ટેલિગ્રામમાં એક 'ગ્લોબલ ઇન્ડિયા' નામની લિંક મોકલવામાં આવી, જેમાં તેમનું રોકાણ 'US COPPER'માં થયેલું બતાવ્યું અને તેમને રૂ. 1,30,000નો ફાયદો થવાનું એપ્લિકેશનમાં દર્શાવ્યું હતું અને 'LEVEL – VIP1' બતાવેલું હતું.ત્યારબાદ 'લેવલ 1' માંથી 'લેવલ 2' માં જવા માટે તેમને રૂ. 82,200 ભરવા પડશે અને તેના બદલામાં રૂ. 2,05,500 પરત મળશે એવો ફોટો મોકલવામાં આવ્યો હતો. ઓનલાઈન ફ્રોડ થયાની જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાવીઆ લાલચમાં આવીને વિજયકુમારે ટેલિગ્રામવાળાએ જણાવેલ અલગ-અલગ બેંક એકાઉન્ટમાં રૂ.50,000 અને રૂ.32,200 નેટ બેન્કિંગ દ્વારા કરાવ્યા હતા.આમ કુલ રૂ. 82,200 ટ્રાન્સફર કર્યા બાદ તેમને ટેલિગ્રામમાં મેસેજ આવ્યો કે, આ તમામ રૂપિયાનું વળતર મેળવવા માટે તેમણે વધારાના રૂ. 2,20,000 જમા કરાવવા પડશે ​ત્યારે વિજયકુમારને ખબર પડી કે આ લોકોએ તેમને વિશ્વાસમાં લઈ કુલ રૂ. 1,34,200નું ઓનલાઈન ફ્રોડ કર્યું છે. ​સી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા વ્યક્તિની મોબાઈલ નંબર, UPI ID અને બેંક એકાઉન્ટનો ઉપયોગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 9:45 pm

મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું:વડોદરા પાસે આવેલ ખલીપુરના ખેતરમાંથી 10 ફૂટ લાંબો મગર ઘૂસ્યો, વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમે વન વિભાગની મદદથી રેસ્ક્યુ કર્યો

વડોદરા પાસે આવેલ ખલીપુરના ખેતરમાંથી 10 ફૂટ લાંબો મગર આવી ગયો હતો. જેથીવાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમ પહોંચી ગઈ હતી અને મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો હતો અને વન વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો. આજે બપોરે લગભગ 2 વાગ્યે સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટના પ્રમુખ સંદીપ સિંઘને ખલીપુરના ખુમાનસિંહ મકવાણા તરફથી ફોન આવ્યો હતો કે તેમના ખેતરમાં અંદાજે 10 ફૂટ લાંબો મગર આવી ગયો છે. સૂચના મળતાં જ ટ્રસ્ટની રેસ્ક્યુ ટીમના વોલન્ટિયર્સ તુરંત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન ખેતરમાં 10 ફૂટ લાંબો મગર હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ વન વિભાગના કર્મચારી શૈલેષભાઈની મદદથી મગરને સંપૂર્ણ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો અને તેને વન વિભાગને સોંપી દેવામાં આવ્યો છે. સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટે નાગરિકોને અપીલ કરી છે કે, તમારા રહેણાંક કે આસપાસના વિસ્તારમાં સાપ, મગર, અજગર, દીપડો કે અન્ય કોઈ વન્યપ્રાણી દેખાય તો ગભરાવાની જરૂર નથી. તાત્કાલિક સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટનો સંપર્ક કરવો, જેથી વન્યજીવનું તેમજ નાગરિકોનું જીવન સુરક્ષિત રહી શકે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે. નદી કિનારે શું સાવચેતી રાખવી? નદી કે તળાવમાં મગર હોય તો ત્યાં જવું નહીં કપડા-વાસણ ધોતા નજર પાણી સામે રાખવી નદી તરફ પીઠ રાખીને કપડા-વાસણ ન ધોવા નદીમાં એકલા ન જવું, મોટરથી પાણી ખેંચવું ઢોરને પાણી પીવડાવવા 1 ફૂટથી આગળ ન જવું વનવિભાગનો સંપર્ક કરી સાવચેતીના બોર્ડ મૂકવા

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 9:26 pm

રાજકોટ ક્રાઇમ ન્યૂઝ:રિક્ષામાં વૃધ્ધ પેસેન્જરની નજર ચૂકવી સોનાના દાગીના - મોબાઈલ સેરવી લેતી ગેંગ ઝડપાઈ

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓટો રીક્ષામાં પેસેન્જર બેસાડી સોનાની બંગડી તથા ખીસ્સામાંથી મોબાઇલ સેરવી ચોરી કરતી ગેંગને શહેર એલસીબી ઝોન 2 ની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. એક શખ્સ અને બે મહિલાને પકડી પાડી તેની પાસેથી રૂ.1.89 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. શહેરના નાનામવા રોડ ઉપર એક શખ્સ અને બે મહિલા ચોરાઉ સોનાની બંગડી અને મોબાઈલ ફોન સાથે રીક્ષા ગેંગ ઉભી હોવાની બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી અને રીક્ષા ડ્રાઇવર આરીફ ઉર્ફે ચકકી ફૈઝમંહમંદભાઇ શેખ કાન્તુબેન પોપટભાઇ વાઘેલા અને તેજલબેન ઉર્ફે બાવલી દીનેશભાઇ સોલંકીને પકડી પાડ્યા છે. જોકે આ ગેંગનો અન્ય શખ્સ નટુ દિનેશભાઈ કુવરિયા બાકી હોવાથી તેને ઝડપી પાડવા માટે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. લોકોના ખોવાયેલા 32 મોબાઇલ, 3 વાહન, સોનાનો ચેન, ફ્રોડના નાણા પરત અપાવતી પોલીસ શહેરમાં તેરા તુજકો અર્પણ અંતર્ગત રાજકોટ તાલુકા અને કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફ દ્વારા 32 મોબાઈલ, ત્રણ વાહન, સોનાનો ચેન અને ફ્રોડમાં ગયેલા નાણા મૂળ માલિકને પરત અપાયા છે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના CEIR પોર્ટલ દ્વારા પોલીસે છેલ્લા એક મહિનામાં ડિટેક્ટ કરેલા રૂ.4,17,149 ની કિંમતના 25 મોબાઈલ, 3 વાહન, સોનાનો ચેન અને રોકડ રકમ સહિત રૂ.7,35,149 નો મુદ્દામાલ મૂળ માલિકને પરત આપવામાં આવ્યો છે. જ્યારે કુવાડવા રોડ પોલીસ દ્વારા રૂ.1,31,682 ની કિંમતના 7 મોબાઇલ અને સાયબર ફ્રોડના 3 કેસમાં રૂ.64,762 પરત અપાવવામાં આવ્યા છે. આ તમારા બાપનું કરી લીધુ છે તેમ કહી વેપારી પિતા - પુત્રી પર પાઈપથી હૂમલો શહેરના કાલાવડ રોડ ઉપર માધવ પાર્ક મેઇન રોડ પરના જલારામ હોઝીયેરીના વેપારી અને તેની દીકરીને માર માર્યાની ઘટના સામે આવી છે. મવડી ચોકડી પાસે ક્રિષ્ના પાર્કમાં રહેતા 62 વર્ષીય રમેશભાઈ બારાઈએ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને કાલાવડ રોડ ઉપર માધવ પાર્ક મેઇન રોડ ઉપર કપડાનો શોરૂમ કરાવીએ છીએ અને તેમાં દીકરી કાજલબેન પણ તેમની સાથે છે. જે બંને 29 મી નવેમ્બર બપોરે પોતાના શોરૂમ પર હતા ત્યારે શો રૂમની બહાર પાટીદાર ડ્રીંક લખેલા વાહનમાં પાણીના કેરબા વાળો આવ્યો હતો અને નડતરરૂપ કાર છે તે હટાવવા માટે કહ્યું હતુ. જોકે દીકરી જમતી હોવાથી થોડીવારમાં કાર લેવાનું કહ્યું હતું જે બાદ વેપારીના દીકરી કાર લઈ રહ્યા હતા ત્યારે આ બધું તમારા બાપનું કરી લીધું છે તેમ કહી પાણી ના કહેતા વાળા ભાઈએ લોખંડના પાઇપથી વૃધ્ધ અને તેની દીકરી ઉપર હૂમલો કર્યો હતો. જેને લીધે વૃધ્ધને ડાબા હાથમાં 2 અને જમણા હાથના અંગૂઠામાં 2 ટાકા આવ્યા હતા તો દીકરીને કોણીથી નીચેના ભાગે ફ્રેક્ચર થઈ ગયું હતુ. જેથી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સદર બજારમાં શિવ શક્તિ સ્ટોરમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 23 ફિરકી ઝડપાઈ રાજકોટમાં મકરસંક્રાંતિ દરમિયાન લોકોના ગળા કાપતી ધારદાર ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં બેરોકટોક તેનું વેચાણ થઈ રહ્યું છે. આજે બપોરે પ્રદ્યુમનનગર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સદર બજાર મેઈન રોડ ઉપર આવેલી શિવ શક્તિ સિઝન સ્ટોરમાં ચાઈનીઝ દોરીનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ પાડી હતી અને ત્યાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 23 ફિરકી ઝડપી પાડી હતી જેની કિંમત રૂ.4600 થાય છે. પોલીસે વેપારી નિલેશ કુંડોલીયા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધર્મેન્દ્ર રોડ ઉપર ખરીદી કરતા પતિ - પત્નીની નજર ચૂકવી ગઠીયો મોબાઇલ ચોરી ગયો રાજકોટમાં ધર્મેન્દ્ર રોડ ઉપર પતિ પત્ની ખરીદી કરી રહ્યા હતા ત્યારે તેની નજર ચૂકવી એક ગઠિયો મહિનાના પર્સમાં રાખેલો મોબાઈલ ચોરી ફરાર થઈ ગયો હતો. શહેરના કાલાવા રોડ ઉપર સત્ય સાંઈ માર્ગ પરની સગુના રેસીડેન્સીમાં રહેતા અને નોકરી કરતા અતુલભાઇ સોલંકી અને તેમના પત્ની બિંદીયાબેન 29 મી નવેમ્બરના સાંજે ધર્મેન્દ્ર રોડ ઉપર ખરીદી કરી રહ્યા હતા ત્યારે એક ગઠિયો ત્યાં આવ્યો હતો અને મહિલાની નજર ચૂકવી તેના પર્સમાંથી રૂ. 25,000 ની કિંમત નો મોબાઇલ ચોરી ફરાર થઈ ગયો હતો. જે અંગે હાલ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી ચોરને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જતો શખ્સ શહેરના ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટરમાં રહેતા કમલેશ મધુ ઉધરેજીયા નામના શખ્સ સામે એક મહિલાએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં સગીર વયની પુત્રીનું અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે આ શખ્સ સગીર વયની દીકરીનું લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો છે. જેથી કુવાડવા પોલીસે ગુનો નોંધી સગીરાનું અપહરણ કરી જતા શખ્સને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે. રાજકોટમાં ઝેરી દવા પી જતા આધેડનું જૂનાગઢમાં સારવારમાં મોત શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આંબેડકર નગર શેરી નંબર 1 માં રહેતા 50 વર્ષીય હિંમતભાઈ વાળા ગત 27 મી નવેમ્બરે પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી જતા સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે જૂનાગઢની કે. જે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબે દર્દીને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 9:16 pm

પંગારબારી-આંબોસી માર્ગના બાંધકામમાં ગોબાચારીની ફરિયાદ:ગ્રામજનોએ ગુણવત્તા તપાસ અને કાર્યવાહીની માંગ કરી

ધરમપુર તાલુકાના પંગારબારી-શિશુમાળ-આંબોસી 9 કિમી માર્ગના બાંધકામમાં ગંભીર ગોબાચારી થઈ હોવાની ફરિયાદ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. ગ્રામજનોએ સંબંધિત અધિકારીઓને ટેલિફોનિક જાણ કરીને યોગ્ય તપાસ બાદ જ કામ ચાલુ રાખવાની માંગ કરી છે. આ ફરિયાદ તાજેતરમાં 30 નવેમ્બર, 2025ના રોજ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોના મતે, રસ્તાનું કામ યોગ્ય રીતે કરવામાં આવતું નથી અને કેટલાક કોન્ટ્રાક્ટરો પોતાની ઓળખનો દુરુપયોગ કરીને નબળી ગુણવત્તાવાળું કામ આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગ્રામજનોની ફરિયાદ બાદ અધિકારીઓએ રસ્તાની ગુણવત્તા ચકાસવા અને તપાસ કરવાની ખાતરી આપી છે. જોકે, ગ્રામજનોએ ચેતવણી ઉચ્ચારી છે કે જો આ બોગસ કામ સામે કાર્યવાહી નહીં થાય, તો સમગ્ર વિસ્તારમાં ચાલી રહેલા અન્ય માર્ગકાર્યોની પણ તપાસની માંગ ઉઠાવવામાં આવશે. ડેપ્યુટી ઇજનેરે પણ ટેલિફોનિક વાતચીત દરમિયાન યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે ભીની સામગ્રી સંકેલવા જેવા અનિયમિત કાર્યોને કોઈપણ સંજોગોમાં મંજૂરી આપવામાં આવશે નહીં. આ મામલે ધરમપુર તાલુકા પંચાયતના આદિવાસી અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે જવાબદાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે. તેમનો ઉદ્દેશ્ય ભવિષ્યમાં આવા નબળા ગુણવત્તાવાળા કામોને અટકાવવાનો છે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 9:05 pm

પાટડીના શિક્ષકને BLO કામગીરી દરમિયાન હૃદયરોગનો હુમલો:કામના ભારણ વચ્ચે તબિયત લથડી, પ્રાથમિક સારવાર બાદ વિરમગામ ખસેડાયા

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં BLOની કામગીરી કરી રહેલા એક શિક્ષકને કામના ભારણ વચ્ચે અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેમને તાત્કાલિક પાટડીની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે વિરમગામ ખસેડવામાં આવ્યા હતા. પાટડીની મોતીબાઈ કન્યા શાળા નંબર 4માં ફરજ બજાવતા શિક્ષક જગમાલ મકવાણાને BLOની કામગીરી દરમિયાન આ ઘટના બની હતી. તેમને પાટડી સરકારી હોસ્પિટલથી વિરમગામની ભાગ્યોદય હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં પાટડી મામલતદાર હરેશ અમીન સહિતનો સ્ટાફ જગમાલભાઈના ઘરે પહોંચ્યો હતો. શિક્ષકો પર BLO સહિતની બિન-શૈક્ષણિક કામગીરીનું ભારણ વધી રહ્યું છે. તાજેતરમાં મહેસાણાના એક શિક્ષકનું મોડી રાત્રે BLO કામગીરી કરતી વખતે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું, અને અગાઉ એક શિક્ષકે કામના ભારણ હેઠળ આત્મહત્યા કરી હતી. આ ઘટનાઓ વચ્ચે પાટડીના શિક્ષકને હુમલો આવતા ચિંતા વધી છે. ઉલ્લેખનીય છે કે, મોતીબાઈ કન્યા શાળા નંબર 4માં કુલ ચાર શિક્ષકો હતા, જેમાંથી બે શિક્ષકો થોડા સમય પહેલા વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા. બાકીના શિક્ષકો પર કામનું ભારણ વધ્યું હતું, જેમાં જગમાલભાઈ મકવાણાને BLOની કામગીરી સોંપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 8:58 pm

બોગસ સીમકાર્ડના બે આરોપી ઝડપાયા:જૂનાગઢ SOGએ બોગસ સીમકાર્ડ ગુનાના વોન્ટેડ આરોપીઓ અમદાવાદ-કરમસદથી ઝડપી પાડ્યા

​બોગસ સિમકાર્ડનો ઉપયોગ કરીને આચરવામાં આવતા હાઈટેક ગુનાઓના નેટવર્ક પર જૂનાગઢ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જૂનાગઢ રેન્જ આઇ.જી. નિલેશ જાજડીયા અને એસ.પી. સુબોધ ઓડેદરાની સૂચનાથી SOG જૂનાગઢે શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનામાં લાંબા સમયથી નાસતા-ફરતા બે વોન્ટેડ આરોપીઓને દબોચી લીધા છે. SOGની ટીમે બંને સ્થળો પરથી આરોપીઓને ઝડપી પાડ્યા ​SOG પી.આઈ. આર.કે. પરમારની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીના આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. તપાસ દરમિયાન SOG ટીમને માહિતી મળી કે, ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓમાંથી એક આરોપી જે મુળ હરિયાણાના આંબળાનો રોહિત ઉર્ફે વિશેષ ચંદ્રપ્રકાશ ગુપ્તા અમદાવાદ ખાતે છુપાયેલો છે અને બીજો આરોપી અમદાવાદનો રાહુલ બાલકૃષ્ણ પાટોળે કરમસદમાં હતો. SOGની ટીમે તાત્કાલિક આ બંને સ્થળો પરથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પકડાયેલ બંને આરોપીઓ દ્વારા બોગસ સીમકાર્ડનો ઉપયોગ કરીને કયા પ્રકારના આર્થિક અથવા સાયબર ગુનાઓ આચરવામાં આવ્યા હતા, તે અંગે પોલીસે હવે વધુ સઘન તપાસ શરૂ કરી છે. આ સફળ કામગીરીમાં SOG પીઆઈ આર.કે. પરમારની સાથે પો.હેડ કોન્સ્ટેબલ પ્રતાપભાઇ શેખવા,પો. કોન્સ્ટેબલ રોહીતભાઇ ધાધલ, કૃણાલ પરમાર, મયુર ઓડેદરા, પરબતભાઇ દિવરાણીયા સહિતના સ્ટાફે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 8:55 pm

ધાંગધ્રામાં PSI વાઘેલાએ ટ્રાફિક ડ્રાઇવ યોજી:રોમિયોગીરી કરતા વાહન ચાલકોને દંડ ફટકાર્યો, 6 બાઇક ડિટેઇન

ધાંગધ્રા શહેરમાં સિટી પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. સિટી પી.આઈ. એમ.યુ. મશીની સૂચનાથી પી.એસ.આઈ. વાઘેલા અને ટ્રાફિક જમાદાર મહેન્દ્રસિંહ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન નંબર પ્લેટ વગરના વાહનો, લાયસન્સ અને જરૂરી કાગળો વગરના વાહનચાલકો તેમજ શહેરમાં 'રોમિયોગીરી' કરતા બાઇક ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસે 6 બાઇક ડિટેઇન કર્યા હતા, જેનાથી ટ્રાફિક સમસ્યા હળવી કરવામાં મદદ મળી. જોગાસર પાણીની ટાંકી, ફુલેશ્વર મંદિર, રોકડિયા સર્કલ, શક્તિ ચોક, શાક માર્કેટ રોડ, ફુલેશ્વર રોડ અને રાજકમલ ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. ફેન્સી નંબર પ્લેટ ધરાવતા બાઇક ચાલકોને પણ મેમો આપવામાં આવ્યા હતા. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ધાંગધ્રા સિટી પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાના ભાગરૂપે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીનો હેતુ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 8:55 pm

ભરૂચના નવેઠામાં વણકર સમાજનો સન્માન સમારોહ અને પસંદગી મેળો:તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું, યુવક-યુવતીઓ માટે પસંદગી મેળો યોજાયો

ભરૂચ તાલુકાના નવેઠા ગામે સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ અને અપરણીત યુવક-યુવતીઓનો પસંદગી મેળો યોજાયો હતો. આ કાર્યક્રમમાં મા મણીબા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક અને સમાજ સેવક ધનજી પરમાર પ્રમુખ પદે ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ અરૂણસિંહ રણા, DIA ના સેક્રેટરી બળદેવ આહિર, સમાજ આગેવાનો ચંદ્રકાંત સેલત, કનુભાઈ પરમાર, રાજેન્દ્ર સુતરીયા, અંગારેશ્વરના મહેશ પરમાર, ભરૂચ પાલિકાના પૂર્વ સભ્ય મનહર પરમાર અને સમાજ ટ્રસ્ટના પ્રમુખ કાંતિભાઈ પરમાર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને ડૉ. બાબાસાહેબ આંબેડકર તથા ગણેશજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરીને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સમાજમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર દાતાઓ અને આગેવાનોને શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને એવોર્ડ આપીને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજના વિદ્યાર્થીઓ, અપરણીત યુવક-યુવતીઓ અને મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 8:50 pm

વલસાડમાં 7 વર્ષની બાળકી પર કુતરાઓએ હુમલો કર્યો:બાળકીને હાથ, માથા અને ગરદનના ભાગે ઈજાઓ પહોંચી, સ્થાનિકોએ રોષ સાથે કાર્યવાહીની માગ કરી

વલસાડના ભાગડાવડા કરીમનગર વિસ્તારમાં 7 વર્ષની બાળકી પર રખડતા કુતરાઓએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે.હુમલામાં બાળકીને હાથ, માથા અને ગરદનના ભાગે ઈજાઓ પહોંચી છે. જેથી તેને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. થોડા દિવસો પહેલાં આ જ વિસ્તારમાં રખડતા કુતરાઓએ ગાયના વાછરડા પર હુમલો કરી તેને મારી નાખ્યું હતું. આ ઘટનાને કારણે સ્થાનિકોમાં પહેલેથી જ ભયનો માહોલ હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામજનો દ્વારા તંત્રને રખડતા કુતરાઓનો તાત્કાલિક નિકાલ કરવા અને સુરક્ષાની અસરકારક વ્યવસ્થા ગોઠવવા માટે સખત માંગ કરવામાં આવી છે. સત્તાવાળાઓ પર યોગ્ય પગલાં લેવા માટે દબાણ વધી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 8:45 pm

જાંબુવા બ્રિજ પર સતત બીજા દિવસે ભયાનક ટ્રાફિકજામ:એમ્બ્યુલન્સ પણ કલાકો ફસાઈ, યુનિટી માર્ચમાં પોલીસના ધાડેધાડા; જામના સમયે ટ્રાફિક પોલીસનો કોઈ અધિકારી ન દેખાયાનો સ્થાનિકોનો આક્ષેપ

વડોદરા-અમદાવાદ-મુંબઈ હાઈ-વે પર જામ્બુવા બ્રિજ નજીક બે દિવસથી ભયાનક ટ્રાફિક જામનો સિલસિલો ચાલી રહ્યો છે. ગઈકાલે ડમ્પર બંધ પડવાથી સર્વિસ રોડ પર કલાકો સુધી જામ રહ્યો, બે એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ અને એક પણ ટ્રાફિક પોલીસ જવાન દેખાયો નહીં. જ્યારે આજે યુનિટી માર્ચના કારણે ધાડેધાડા પોલીસ ઉતરી આવ્યા ત્યારે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકોનો આક્ષેપ છે કે, જીવ બચાવવા તરફડતા દર્દીઓને બચાવવા કોઈ પોલીસ નહોતી પણ વીઆઈપી માર્ચ માટે તો પોલીસની ફોજ તૈયાર હતી. ગઈકાલે ડમ્પર બંધ થવાના કારણે ટ્રાફિકજામ થયો હતોસ્થાનિક અજય પંચાલે જણાવ્યું હતું કે ગઈકાલે, 29 નવેમ્બર 2025ના દિવસે સાંજે 4.30 વાગે ડમ્પર બંધ થવાના કારણે ફૂલ ટ્રાફિકજામ થયો હતો અને જાંબુવા બ્રિજની ઉપર સર્વિસ રોડ પર ટ્રાફિકજામ થયો હતો. ફક્ત એક જ TRB જવાન હાજર હતો. એ પણ ક્યાં ફરતો હતો, આપણને આઈડિયા નથી. પણ એક વસ્તુ છે કે માનનીય સંસદ સભ્ય હેમંગભાઈ જોષીને લાખ લાખ વંદન. બે એમ્બ્યુલન્સ અમારી સોસાયટીવાળાએ ટ્રાફિકમાંથી બહાર કાઢી હતીતેઓએ કહ્યું કે, ટ્રાફિક પોલીસના અધિકારીઓને એમને પણ લાખ લાખ વંદન. ગઈકાલે આટલો ટ્રાફિક જામ થયો હતો, ટ્રાફિકમાં ફસાયેલી બે એમ્બ્યુલન્સ અમારી સોસાયટીવાળાએ ટ્રાફિકમાંથી બહાર કાઢી હતી. આજે યુનિટી માર્ચના કારણે આટલી બધી પોલીસ તમને ગોઠવવાનો સમય મળ્યો છે પણ ગઈકાલે તમને એક-બે પોલીસવાળા ન મળ્યા કે જે સર્વિસ રોડ ક્લિયર કરી શકે? જેનાથી જે બે એમ્બ્યુલન્સ ફસાઈ હતી, એ બે એમ્બ્યુલન્સ પણ નીકળી જાય. આ ટ્રાફિક સમસ્યાનું જલ્દીથી સોલ્યુશન આવે એવી વિનંતીતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, એટલે જે પણ ટ્રાફિક પોલીસના ઉપરના લેવલે જે પણ લોકો છે એ બધાને ખરેખર ધન્ય છે. આવું મેનેજમેન્ટ કરવા માટે. બસ આટલું જ કહેવા માંગીશ અને ખરેખર આ ટ્રાફિક સમસ્યાનું જલ્દીથી સોલ્યુશન આવે. ગઈકાલે જે એમ્બ્યુલન્સમાં લોકો હતા, એ લોકો પણ જીવ બચાવવા માટે તરફડી રહ્યા હતા, જેની પર આપણે કોઈએ ધ્યાન નથી આપ્યું અને જેને ધ્યાન આપવાની જરૂર છે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 8:34 pm

અદાણી ગ્રુપે અમદાવાદમાં મેરેથોનનું આયોજન કર્યું:મહેશ્વરી સમાજના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો

અમદાવાદમાં અદાણી ગ્રુપ દ્વારા એક મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનમાં મહેશ્વરી સમાજના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 8:30 pm

સુરતમાં બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીમાં બેઠક:વિદ્યાર્થીઓ માટે અભિમુખતા બેઠક યોજાઈ

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સુરત કેન્દ્ર દ્વારા અમરોલી ખાતે આવેલી આર. વી. પટેલ કોલેજમાં અભિમુખતા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 30 નવેમ્બર, 2025ના રોજ રવિવારે યોજાયેલી આ બેઠક ઓગસ્ટ 2025ના પ્રવેશ સત્રના વિદ્યાર્થીઓ માટે હતી. કુલગુરુ ડૉ. અમી ઉપાધ્યાયજીની પ્રેરણા અને અન્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આર.વી. પટેલ કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીએ પ્રારંભિક પ્રવચનમાં યુનિવર્સિટીનો પરિચય અને તેની વિવિધ પ્રવૃત્તિઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર ડૉ. રાજેશ રાણાએ યુનિવર્સિટીના વિવિધ પ્રકલ્પો વિશે વિગતવાર માહિતી આપી હતી. મદદનીશ નિયામક શ્રી ભૌતિક વોરાએ વિદ્યાર્થીઓને પ્રવેશથી લઈને પરીક્ષા સુધીની તમામ પ્રક્રિયા કઈ રીતે અનુસરવી તે વિશે ક્રમશઃ સમજાવ્યું હતું. ત્યારબાદ, અભ્યાસકેન્દ્રના સંયોજક ડૉ. વિરલ પોલીશવાલા દ્વારા અભ્યાસક્રમ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકના અંતે વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નોતરી પણ કરવામાં આવી હતી, જેમાં તેમના પ્રશ્નોના નિરાકરણ કરવામાં આવ્યા. આ અભિમુખતા બેઠકમાં કુલ 30 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. એમ. કે. મોમીન અને હિતેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 8:29 pm

અમદાવાદ પૂર્વ ઝોનને મળશે મોટી રાહત:₹86.58 કરોડના પ્રોજેક્ટથી ઇસનપુર-નિકોલ-વટવા-રામોલના તળાવો ઇન્ટરલિંક થશે, વરસાદી પાણી સીધુ જ નદીમાં જશે

ચોમાસાની સિઝન દરમિયાન વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ઊભી થતી હોય છે ત્યારે વરસાદી પાણીનું નિકાલ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં રૂ. 86.58 કરોડના ખર્ચે તળાવ ઇન્ટરલિંકિંગ કરવામાં આવનાર છે. આ પ્રોજેક્ટ ભારતના નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ હેઠળ મંજૂર કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ અંતર્ગત ઇસનપુર, નિકોલ, વટવા, રામોલ-હાથીજણ અને વટાલ વિસ્તારમાં આવેલા રતનપુરા તળાવ, સાત તલાવડી, રામોલ તલાવડી, ઠેકડી તલાવડી, બેટલા તલાવડી, વડુ તળાવ સહિતના તળાવોને ઇન્ટરલિંક કરી જોડવામાં આવશે. જેથી ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઓછી થશે. વરસાદી સીઝનમાં પાણી ભરાવવાની સમસ્યાથી રાહત મળશેશહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હોય છે જે પાણીનું નિકાલ કરવા માટે તળાવમાં લાઈન જોડવામાં આવતી હોય છે. જોકે, વરસાદમાં તળાવો ઓવરફ્લો થઈ જતા હોય છે ત્યારે એક તળાવમાં પાણી વધારે ભરાઈ જાય ત્યારે તળાવોમાંથી ઓવરફ્લો થતા પાણી માટે 300 મીમીથી 2400 મીમી ડાયાની કુલ 24.62 કિમી લાંબી સ્ટોર્મવોટર લાઈન નાખવામાં આવશે. દરેક તળાવમાંથી નીકળતું વધારાનું પાણી સ્ટોર્મ વોટરની લાઇન દ્વારા વિંઝોલ પાસેના વેહળા સુધી પહોંચાડવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં વરસાદી સીઝનમાં પાણી ભરાવવાની સમસ્યાથી રાહત મળશે અને તળાવો ભરાશે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 8:28 pm

સોસાયટી કમિટી દ્વારા નિઃશુલ્ક આઈ ચેકઅપ કેમ્પ યોજાયો:113 નિવાસીઓએ સેવાઓનો લાભ લીધો

આવલી સોસાયટી કમિટી અને તેજ આઈ સેન્ટર ઓર્ગેનાઇઝેશના સંયુક્ત ઉપક્રમે દ્વારા રવિવાર, 30 નવેમ્બરના રોજ સોસાયટીના નિવાસીઓ માટે નિ:શુલ્ક આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 113 નિવાસીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં સિનિયર સિટીઝન, યુવાનો અને બાળકો સહિત તમામ વય જૂથના લોકોએ આંખોની તપાસ કરાવી હતી. સોસાયટીના નિવાસીઓએ આ સેવાભાવી કાર્ય માટે સોસાયટી કમિટીનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 8:27 pm

આત્મીય યુનિવર્સિટીમાં નેશનલ ફાર્મસી સપ્તાહની ઉજવણી:વિદ્યાર્થીઓએ ParmArtist સ્પર્ધામાં કલાત્મક મોડેલ બનાવ્યા

આત્મીય યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ફાર્માસ્યુટીકલ સાયન્સીસ ખાતે નેશનલ ફાર્મસી સપ્તાહ (NPW) 2025ની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી અંતર્ગત ઇન્ડિયન ફાર્મસી ગ્રેજ્યુએટસ એસોસિએશન - રાજકોટ ચેપ્ટરના સહયોગથી ૨૧ નવેમ્બરના રોજ 'ParmArtist' સ્પર્ધાનું આયોજન થયું. આ સ્પર્ધામાં ફાર્મસીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ફળ, ફૂલ, શાકભાજી અને ઝાડપાનનો ઉપયોગ કરીને વિવિધ કલાત્મક મોડેલ બનાવ્યા હતા, જે તેમની સર્જનાત્મકતા અને કૌશલ્ય દર્શાવતા હતા. સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં નવીનતા અને વ્યવહારિક જ્ઞાનને પ્રોત્સાહન આપે છે. નેશનલ ફાર્મસી સપ્તાહ દર વર્ષે નવેમ્બરના ત્રીજા સપ્તાહ દરમિયાન દેશભરની ફાર્મસી સંસ્થાઓમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે ૧૬ થી ૨૨ નવેમ્બર દરમિયાન તેની ઉજવણી થઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી આરતી દ્વિવેદી, શ્રી રાધિકા અઘેરાં, શ્રી ધાર્મિક મહેતા, અન્ય કર્મચારીગણ અને વિદ્યાર્થી સંયોજકોએ સક્રિય યોગદાન આપ્યું હતું.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 8:26 pm

નવસારીમાં વૃદ્ધ દંપતીએ રેલવે ટ્રેક પર આપઘાત કર્યો:પત્નીએ પડતું મૂકતા જ પતિએ પણ ટ્રેન સામે કૂદી જીવન ટૂંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ

નવસારીના હાંસાપોર ગામ નજીક રેલવે ટ્રેક પર એક વૃદ્ધ દંપતીએ આજે સવારે એક પછી એક ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કર્યો હતો. 74 વર્ષીય ગુલાબ પટેલ અને 72 વર્ષીય દેવીબેન પટેલ નામના આ દંપતીએ ગણતરીની મિનિટોના અંતરે પોતાનો જીવ ટૂંકાવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે 9:58 વાગ્યે અમદાવાદથી મુંબઈ જતી સ્પેશિયલ ટ્રેન સામે પત્ની દેવીબેન પટેલે પડતું મૂક્યું હતું. તેના થોડા સમય બાદ, સવારે 10:17 વાગ્યે પતિ ગુલાબ પટેલે મુંબઈથી અમદાવાદ જતી ઇન્ટરસિટી ટ્રેન સામે કૂદીને આપઘાત કર્યો હતો. આ દંપતી મોગાર ગામના રહેવાસી હતા અને ખેતીકામ સાથે સંકળાયેલા હતા. તેમના પરિવારમાં એક પુત્ર અને બે પુત્રી છે, જેમના લગ્ન થઈ ચૂક્યા છે.પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગુલાબ પટેલે પોતાની પત્નીને ટ્રેન સામે પડતું મૂકતા જોયા બાદ થોડી જ મિનિટોમાં તેમણે પણ આ જ રીતે જીવ ટૂંકાવ્યો હતો. ડાઉન અને અપ ટ્રેક પરથી પસાર થતી બંને ટ્રેનના ડ્રાઇવરોએ નવસારી સ્ટેશન માસ્ટરને આ અકસ્માત મૃત્યુ અંગે જાણ કરી હતી. આ ઘટનાને પગલે વિજલપોર પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, દંપતીના આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 8:24 pm

નો-પાર્કિંગમાં વાહન રાખવુ મોંઘુ પડ્યું:રાજકોટનાં ભક્તિનગર રેલવે સ્ટેશનના પાર્કિંગ સ્ટાફ પર દાદાગીરીનાં આરોપનો વીડિયો વાયરલ, રેલવે તંત્ર દ્વારા આક્ષેપો ફગાવાયા

રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન પર પાર્કિંગ સ્ટાફ મનમાની અને દાદાગીરી કરતો હોવાના આરોપ સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે માત્ર 2 થી 5 મિનિટ માટે પરિવારજનોને સ્ટેશન ઉપર મૂકવા આવેલા નાગરિકનું વાહન સાંકળ વડે લોક કરી દેવામાં આવ્યું હતું. ભોગ બનનાર નાગરિકે આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. અને પાર્કિંગ સ્ટાફ સામે પગલાં લેવાની માંગ કરી છે. જોકે રેલવે તંત્ર દ્વારા પાર્કિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવતી કામગીરી નિયમ અનુસાર હોવાનું જણાવી તમામ આરોપો ફગાવાયા છે. વાહનને લોક મારી દેવાતા નાગરિક અને પાર્કિંગ સ્ટાફ વચ્ચે બોલચાલીવાયરલ વીડિયોમાં દેખાતા દ્રશ્યો અનુસાર, એક વ્યક્તિ પોતાની બાઇક અને સાથે ઊભેલા એક્ટિવાને પાર્કિંગ સ્ટાફ દ્વારા લોક મારવામાં આવતા ભારે હેરાનગતિનો સામનો કરી રહ્યો છે. આ નાગરિકનો આક્ષેપ છે કે તેઓ માત્ર થોડીક મિનિટો માટે તેમના સંબંધીને સ્ટેશન પર મૂકવા આવ્યા હતા અને તેમની ગેરહાજરીમાં વાહનને લોક મારી દેવામાં આવ્યું છે. વીડિયોમાં નાગરિક અને પાર્કિંગ સ્ટાફ વચ્ચે આ મુદ્દે ઉગ્ર બોલાચાલી પણ થઈ રહી છે, જ્યાં નાગરિક સ્પષ્ટપણે જણાવી રહ્યો છે કે તેણે પાર્કિંગનો દંડ પણ ભરી દીધો છે, છતાં સ્ટાફ તેને વાહન ક્યાં છે તે અંગે યોગ્ય માહિતી આપી રહ્યો નથી. નાગરિકે વીડિયોમાં જણાવ્યું કે તે છેલ્લા 10 મિનિટથી હેરાન થઈ રહ્યો છે. પાર્કિંગ સ્ટાફના એક વ્યક્તિએ તેને પહેલાં પાર્કિંગની બીજી કોઈ જગ્યા બતાવી, જેના કારણે તે બધી જગ્યાએ ફરી વળ્યો પરંતુ તેને વાહન મળ્યું નહોતું. આખરે, જ્યારે તે આ જગ્યાએ પાછો આવ્યો, ત્યારે તેના વાહનને જ લોક મારેલું જોવા મળ્યું હતું. નાગરિકનો આક્ષેપ છે કે પાર્કિંગ સ્ટાફ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી રહ્યો નથી અને દંડ લીધા પછી પણ ગાડી ક્યાં મૂકી છે તેની જાણકારી આપવામાં બેદરકારી દાખવી રહ્યો છે. જ્યારે નાગરિક સ્ટાફને પૂછે છે કે તેણે દંડ ભરી દીધો છે, તો પણ તેને શા માટે હેરાન કરવામાં આવે છે અને ગાડી ક્યાં મૂકી છે તે કેમ યાદ નથી, ત્યારે સ્ટાફનો બીજો એક વ્યક્તિ એમ કહેતો સંભળાય છે કે તે જગ્યા 'નો પાર્કિંગ' ઝોન છે. જોકે, નાગરિકે દલીલ કરી કે 'નો પાર્કિંગ'ની જાણ હોવા છતાં તેણે દંડ ભરી દીધો છે અને તે ભણેલો હોવાની વાત પણ સ્વીકારે છે, પરંતુ સ્ટાફે દંડ લીધા બાદ તેની ગાડીને તાત્કાલિક મુક્ત કરવી જોઈએ. રેલવે તંત્રએ કહ્યું- 'નો પાર્કિંગમાં વાહન હોય તો દંડનીય કાર્યવાહી થાય છે'સમગ્ર મામલે રેલવે તંત્રએ દિવ્યભાસ્કર સાથે કરેલી ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, માત્ર રાજકોટ નહીં દેશભરના તમામ રેલવે સ્ટેશનોમાં વાહન પાર્કિંગમાં રાખવું ફરજિયાત છે. પરંતુ લોકો નો-પાર્કિંગમાં રાખતા હોય છે. નિયમ મુજબ એક મિનિટ પણ વાહન આવી રીતે મૂકે તો તેને લોક કરી દંડ વસુલવામાં આવે છે. આ રીતે આડેધડ વાહનો પાર્ક થાય તો અકસ્માતો થવાની તેમજ વાહનો ચોરાઈ જવાની પણ શક્યતા રહેતી હોય છે. ત્યારે લોકો સમજીને રેલવે દ્વારા આપેલા પાર્કિંગમાં વાહન રાખે તે જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 8:24 pm

સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજીને દિવ્ય શણગાર કરાયો:વૃંદાવનના વાઘા અને રંગબેરંગી શેવન્તી ફૂલોથી સજાવટ

સાળંગપુરધામ સ્થિત સુપ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં રવિવાર, 30 નવેમ્બર, 2025ના રોજ દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ શણગાર પ. પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી કરાયો હતો. કષ્ટભંજનદેવ હનુમાનજીને વૃંદાવનમાં ખાસ તૈયાર કરાયેલા વાઘા પહેરાવવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 8:23 pm

જમાલપુર શાળામાં સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો:AMC અને સૃષ્ટિ વેસ્ટ મેનેજમેન્ટ ટીમે વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા

અમદાવાદના જમાલપુર વોર્ડમાં આવેલી જમાલપુર ગુજરાતી શાળા નંબર 9 ખાતે 29 નવેમ્બર, 2025ના રોજ સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને તેની સહયોગી ટીમ સૃષ્ટિ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા યોજાયો હતો. આ પ્રસંગે, સૃષ્ટિ વેસ્ટ મેનેજમેન્ટની ટીમના સભ્યોએ કોસ્ચ્યુમ પહેરીને વિદ્યાર્થીઓને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે ભીના અને સૂકા કચરાના યોગ્ય વિભાજન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ બનાવવા માટેની સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે, તમામ વિદ્યાર્થીઓને સ્વચ્છતા જાળવવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા અને સ્વચ્છતા સંબંધિત સૂત્રોચ્ચાર પણ કરાવવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 8:22 pm

ખેલ મહાકુંભ 2025 રસ્સાખેંચ સ્પર્ધા યોજાઈ:ભાવનગરમાં મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધાનું સફળ આયોજન

ભાવનગરમાં ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત મહાનગરપાલિકા કક્ષાની રસ્સાખેંચ સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. શ્રી બી.એમ. કોમર્સ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું આયોજન ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું હતું. ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના નાગરિકોમાં ખેલદિલીને પ્રોત્સાહન આપવાનો, રમતગમતનું વાતાવરણ ઊભું કરવાનો અને સુષુપ્ત પ્રતિભાઓને બહાર લાવવાનો છે. આ વાર્ષિક રમોત્સવ શાળા અને ગ્રામ્ય કક્ષાથી શરૂ થઈ તાલુકા, જિલ્લા, ઝોન અને રાજ્ય કક્ષા સુધી યોજાય છે. ચાલુ વર્ષે કુલ ૩૯ રમતોનો ૭ વયજૂથમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રસ્સાખેંચ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનોની અનેક ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભાઈઓના વિભાગમાં અંડર-૧૭માં ૨૪ ટીમો, ઓપન વિભાગમાં ૫ ટીમો, ૪૦થી ઉપરની વયજૂથમાં ૧ ટીમ અને ૬૦થી ઉપરની વયજૂથમાં ૧ ટીમે ભાગ લીધો હતો. જ્યારે બહેનોના વિભાગમાં અંડર-૧૭માં ૨૮ ટીમો, ઓપન વિભાગમાં ૫ ટીમો, ૪૦થી ઉપરની વયજૂથમાં ૨ ટીમો અને ૬૦થી ઉપરની વયજૂથમાં ૧ ટીમે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ટગ ઓફ વોરના પ્રમાણિત રેફરીઓ ભાસ્કરભાઈ, દિવ્યેશભાઈ, વિશાલભાઈ, યશભાઈ, અમનભાઈ, વિષ્ણુભાઈ અને ઋતુબેને ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી. સમગ્ર આયોજન કન્વીનર તુષારભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું. તુષારભાઈ રાજ્યગુરુ અને પ્રણવભાઈ સહિતના વ્યવસ્થાપકોએ ચા-નાસ્તો, ભોજન અને મેદાનની તમામ વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે રમતગમત અધિકારી નરેશભાઈ ગોહેલ, શિક્ષણ સમિતિના સભ્ય મહાવીરભાઈ ડાંગર, વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખ લાલજીભાઈ કોરડીયા, મહામંત્રી ભાવેશભાઈ ભટ્ટ તેમજ તમામ ઝોન કન્વીનરો ઉપસ્થિત રહી સ્પર્ધાને સફળ બનાવી હતી. આ સ્પર્ધાના સફળ આયોજન માટે દિનેશભાઈ, ઋતુબેન, નિહારિકાબેન, આચાર્ય અરવિંદભાઈ અને ટ્રસ્ટીઓ સહિતની સમગ્ર ટીમના સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 8:21 pm

મોતીભાઈ અમીનની 152મી જન્મજયંતિની ઉજવણી:સુરતની શાળામાં શિક્ષણ પ્રણેતાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત મોતીભાઈ અમીન પ્રાથમિક શાળા ક્રમાંક–46, ખટોદરા કોલોની ખાતે ચરોતરના પ્રખ્યાત શિક્ષણપ્રણેતા, સમાજસેવક અને જાહેર ગ્રંથાલય-આંદોલનના પ્રણેતા મોતીભાઈ નરસિંહભાઈ અમીનની 152મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના અને મોતીભાઈ અમીનના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરીને થયો હતો. ત્યારબાદ શાળાના મુખ્ય શિક્ષક દ્વારા પ્રેરણાદાયી ઉદબોધન કરવામાં આવ્યું. મુખ્ય શિક્ષકે પોતાના વક્તવ્યમાં મોતીભાઈના શિક્ષણક્ષેત્રે આપેલા અવિસ્મરણીય યોગદાન, ગ્રામ્ય પુસ્તકાલય-પ્રવૃત્તિ, યુવાનોના વિકાસ અને રાષ્ટ્રપ્રેમના મૂલ્યો પર પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જેમાં દેશભક્તિ ગીત, અભિનય, વક્તવ્ય, વાર્તા અને મોતીભાઈ અમીનના જીવન-પરિચય પર આધારિત વક્તવ્યનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, પ્રથમ સત્રાંત પરીક્ષામાં બાલવાટિકાથી ધોરણ–8 સુધીના પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કરવામાં આવ્યા. સી.આર.સી. કક્ષાએ વિજ્ઞાન મેળામાં પ્રથમ ક્રમાંક મેળવનાર બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું, જેનાથી વિદ્યાર્થીઓમાં પ્રેરણા અને ઉત્સાહ વધ્યો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી નીરવસિંહ ચાવડાએ કર્યું હતું. અંતે, રાષ્ટ્રીય ગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 8:20 pm

દીવાન-બલ્લુભાઈ પ્રાઈમરી સ્કૂલને બેસ્ટ સ્કૂલ અવોર્ડ મળ્યો:અમદાવાદ મેટ્રોપોલિટન રીજનમાં લીડિંગ સ્કૂલ તરીકે સન્માનિત

અમદાવાદના રાજનગર-પાલડી સ્થિત દીવાન-બલ્લુભાઈ પ્રાઈમરી ઈંગ્લિશ સ્કૂલને એજ્યુકનેક્ટઈન દ્વારા બેસ્ટ સ્કૂલ અવોર્ડ 2025-26 એનાયત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, અમદાવાદ મેટ્રોપોલિટન રીજનની કુલ 2979 શાળાઓમાંથી આ સ્કૂલને લીડિંગ સ્કૂલ તરીકે પણ સન્માનિત કરવામાં આવી છે. આ સિદ્ધિ ધ પ્રોપ્રાયટરી હાઈ સ્કૂલ ટ્રસ્ટ, પ્રિન્સિપાલ પરવીન કાવિના ભાટપોરિયા અને સમગ્ર શિક્ષકગણના સહિયારા પ્રયાસોનું પરિણામ છે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 8:17 pm

VNSGU પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિભાગે બિરસા મુન્ડા ક્વિઝ યોજી:વિદ્યાર્થીઓમાં આદિવાસી વારસા પ્રત્યે જાગૃતિ ફેલાવી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરતના પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા 29 નવેમ્બર, 2025ના રોજ મહાન આદિવાસી સ્વતંત્રતા સેનાની બિરસા મુન્ડા પર એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં બિરસા મુન્ડાના ઐતિહાસિક યોગદાન અને ભારતના આદિવાસી આંદોલનમાં તેમની ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમનું આયોજન VNSGUના કુલપતિ પ્રોફેસર કિશોરસિંહ ચાવડા, રજિસ્ટ્રાર ડૉ. રમેશદાન ગઢવી અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિભાગના સંયોજક ડૉ. મધુ એમ. થવાનીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. વિભાગના ફેકલ્ટી સ્ટાફ શ્રીમતી મમતા મીના, ડૉ. મમતા ભક્કડ, ડૉ. સ્વાતી દેસાઈ અને ડૉ. દીપિકા ગુપ્તાએ આ આયોજનમાં સક્રિય સહયોગ આપ્યો હતો. વિભાગના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ક્વિઝમાં બિરસા મુન્ડાના જીવન, તેમના દ્વારા પ્રેરિત આંદોલનો, ઉલગુલાન (વિરોધ આંદોલન) અને આદિવાસી ઓળખ તથા સશક્તિકરણમાં તેમના યોગદાન સંબંધિત મહત્વપૂર્ણ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં ઐતિહાસિક વિષયો પ્રત્યે રસ વધ્યો, આદિવાસી વારસાની સમજ વધુ ઊંડી બની અને બિરસા મુન્ડાના પ્રેરણાદાયક જીવન વિશે નવા દૃષ્ટિકોણ વિકસ્યા. પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિભાગે તમામ ભાગ લેનારાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા જ્ઞાનવર્ધક તથા જાગૃતિ લાવનારા કાર્યક્રમો યોજવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 8:16 pm

હિંમતનગરના મોતીપુરા હાઈવે પર ટ્રાફિક જામ:અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર રોડ કામગીરીથી અસર

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક મોતીપુરામાંથી પસાર થતા અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે 48 પર રવિવારે સાંજે ટ્રાફિક જામ સર્જાયો હતો. હાઈવે પર ચાલી રહેલી રોડ કામગીરીને કારણે વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો. નેશનલ હાઈવે 48 સિક્સ લેન પર જુદા જુદા સ્થળોએ કામગીરી ચાલી રહી છે. રવિવારે સાંજે એક તરફના રોડ પર કામ ચાલુ હોવાથી ટ્રાફિક જામ થયો હતો. મુખ્ય રોડ અને સર્વિસ રોડ બંને પર કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસ પહેલા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાલી રહેલા નેશનલ હાઈવેના કામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ બાકી રહેલી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 8:13 pm

જે જે ફાઉન્ડેશને 100થી વધુ લોકોને વસ્ત્રો આપ્યા:ખોખરામાં જરૂરિયાતમંદોને વસ્ત્રોસહાય પૂરી પાડી

અમદાવાદના ખોખરા સ્થિત જે જે ફાઉન્ડેશન દ્વારા 100થી વધુ જરૂરિયાતમંદ લોકોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું. ફાઉન્ડેશને માનવતા અને સમાજ સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા, જરૂરિયાતના વિસ્તારો અને સ્થાનિક શ્રમિક વર્ગ સુધી પહોંચી આ સહાય પૂરી પાડી. આ સેવા કાર્યનો મુખ્ય હેતુ સમાજના નબળા અને વંચિત વર્ગ સુધી મદદ પહોંચાડવાનો હતો, જેમાં મહિલાઓ, પુરુષો તેમજ બાળકોને તેમની જરૂરિયાત મુજબ વસ્ત્રો આપવામાં આવ્યા. વિતરણ કાર્યક્રમ દરમિયાન, સ્વયંસેવકોએ ઘરે-ઘરે અને મહોલ્લામાં જઈને લોકોની જરૂરિયાતો સમજી હતી. તેમણે વડીલો અને બાળકો માટે અલગ-અલગ શ્રેણીમાં વસ્ત્રો ગોઠવીને દરેક લાભાર્થી સુધી યોગ્ય રીતે પહોંચાડવાની જવાબદારી નિભાવી. આ પ્રવૃત્તિથી અનેક પરિવારોને ઠંડીના દિવસોમાં વસ્ત્રોની ચિંતામાંથી રાહત મળી અને સામાજિક સહકારનો સકારાત્મક સંદેશ ફેલાયો. જે જે ફાઉન્ડેશન સમાજ કલ્યાણ, માનવ સેવા, શિક્ષણ, આરોગ્ય અને આહાર સહિતના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે. ફાઉન્ડેશને ભવિષ્યમાં પણ વધુ લોકો સુધી સેવા પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે, જેથી કોઈ પણ વ્યક્તિ જરૂરિયાત સામે એકલો ન પડે અને સમાજમાં સહાનુભૂતિ તથા સહયોગની ભાવના મજબૂત બને. આ સેવા કાર્યમાં જોડાયેલા દાતાઓ, સ્વયંસેવકો અને સમર્પિત ટીમના પ્રયાસો પ્રશંસનીય છે. તેમના સહયોગ અને સેવાભાવને કારણે જ સમાજ ઉત્થાન તરફનું આ સકારાત્મક પગલું સફળતાપૂર્વક પૂર્ણ થઈ શક્યું.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 8:13 pm

હિંમતનગરની હાથમતી કેનાલમાં ગાયનું બચ્ચું તણાયું:ફાયર વિભાગે દોઢ કલાકની જહેમત બાદ વાછરડાંને રેસ્ક્યૂ કરી બચાવ્યું

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાંથી પસાર થતી હાથમતી કેનાલમાં રવિવારે સાંજે એક ગાયનું બચ્ચું તણાઈ ગયું હતું. ફાયર વિભાગે દોઢ કલાકની જહેમત બાદ તેને સુરક્ષિત રીતે બહાર કાઢી બચાવી લીધું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના રવિવારે સાંજના સમયે બની હતી. કેનાલ ફ્રન્ટ સૂચિત ફેઝ-2 પાસેથી તણાયેલું ગાયનું બચ્ચું મોતીપુરા નજીક ડમ્પિંગ સાઇટ પાસે કેનાલમાંથી રેસ્ક્યુ કરાયું હતું. તે લગભગ દોઢ કિલોમીટર સુધી પાણીમાં તણાયું હતું. ઘટનાની જાણ થતાં જીવદયા પ્રેમીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને તેમણે ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચ્ચાને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ફાયર ટીમે લગભગ દોઢ કલાક સુધી સતત પ્રયાસો કર્યા બાદ ગાયના બચ્ચાને સફળતાપૂર્વક કેનાલમાંથી બહાર કાઢ્યું હતું. બચ્ચાને સુરક્ષિત જોઈને ઉપસ્થિત લોકો અને જીવદયા પ્રેમીઓમાં રાહતની લાગણી છવાઈ હતી.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 8:04 pm

ગીતા જયંતીની ઉજવણીનું આયોજન:વડોદરા જિલ્લા કક્ષાનો ગીતા મહોત્સવ તા.1 ડિસેમ્બરના રોજ માંજલપુર ખાતે આવેલ આત્મીય વિદ્યાલયમાં યોજાશે

ગુજરાત સરકાર તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં ભારતીય જ્ઞાન પરંપરાના સંવર્ધન સંસ્કૃત ભાષાના સંવર્ધન તથા શ્રીમદ ભગવદ ગીતાના મહિમાના પ્રસાર માટે અનેક પુણ્ય કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ જ અધ્યાત્મિક યજ્ઞના પવિત્ર ભાગ રૂપે “ગીતા જયંતી” જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લામાં તા. 1 ડિસેમ્બર 2025 ને સોમવારના રોજ સવારે 9.30 કલાકે આત્મીય વિદ્યાલય, માંજલપુર ખાતે જિલ્લા કક્ષાનો ગીતા મહોત્સવ યોજાશે. આ મહોત્સવ અગાઉ જિલ્લાની વિવિધ શાળાના કેન્દ્ર જેવા કે સ્વામી વિદ્યાનંદજી વિદ્યાવિહાર, પ્રતાપનગર, સરદાર વિનય મંદિર, કારેલીબાગ, સી.એચ.વિદ્યાલય, ગોત્રી, લકુલીશ વિદ્યામંદિર, કાયાવરોહણ, જે.સી.પટેલ સાર્વજનિક હાઇસ્કુલ, શિનોર, શ્રી સ્વામી ગોવિંદદેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય, વાધોડીયા, ગંગોત્રી હાઇસ્કુલ, સાવલી, ગીતાંજલી વિદ્યાલય, પાદરા પર ગીતા કંઠપાઠ યોજનાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 400થી વધુ વિદ્યાર્થીઓ તથા સંસ્કૃત અનુરાગી મિત્રોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ શ્રીમદ ભગવત ગીતાના સંદેશને ઘર ઘર સુધી પહોચાડવાનો આજની યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાના મૂળ સાથે જોડવાનો તેમજ સમગ્ર દેશમાં ધર્મ, કર્મ અને આધ્યાત્મિકતા ના પ્રકાશને ફેલાવાનો છે. આ પ્રસંગે જિલ્લાના તમામ નાગરિકોને આ મહોત્સવ સફળ અને સાર્થક બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 7:40 pm

જામજોધપુર શહેર ભાજપ મંત્રીએ આત્મહત્યા કરી:પરેશ બકોરીએ ઝેરી દવા ગટગટાવી લેતા રાજકીય વર્તુળોમાં શોક, આપઘાતનું કારણ અકબંધ, પોલીસ તપાસ શરૂ

જામજોધપુર શહેર ભાજપના મંત્રી પરેશ બકોરીએ આપઘાત કર્યો કરી લીધો છે. તેમણે ગત સાંજે ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, ભારતીય જનતા પાર્ટીમાં જામજોધપુર શહેર મંત્રી તરીકે કાર્યરત પરેશ બકોરીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી છે. જેને પગલે રાજકીય વર્તુળોમાં શોક વ્યાપી ગયો છે. આ ઘટનાની જાણ થતાં જ જામજોધપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ આપઘાતનું ચોક્કસ કારણ અકબંધ છે. પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે અને તપાસના અંતે જ સમગ્ર વિગતો સામે આવશે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 7:40 pm

ગોધરામાં આદિવાસી સમાજ ભવનનો શિલાન્યાસ:ચંચોપા બાયપાસ રોડ ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

ગોધરા નજીક કોટડા ગામે, ચંચોપા બાયપાસ રોડ ખાતે આદિવાસી સમાજ ભવનનો શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમથી પંચમહાલ જિલ્લા અને ગોધરા શહેરમાં વસતા લાખો આદિવાસીઓનું પોતાના ભવનનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થયું છે. આદિવાસી સમાજ છેલ્લા ઘણા વર્ષોથી ગોધરામાં પોતાના સમાજ ભવનની માંગ કરી રહ્યો હતો. આ ભવનના નિર્માણ માટે સમાજ દ્વારા દાતાઓ અને સમાજજનો પાસેથી ફાળા ઉઘરાવી સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેના પરિણામે આ શિલાન્યાસ શક્ય બન્યો. શિલાન્યાસ કાર્યક્રમની સાથે આદિવાસી વિકાસ ફાઉન્ડેશન, ગોધરા, પંચમહાલ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન અને સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમ રાજ્યસભા સાંસદ ડો. જશવંતસિંહ પરમાર, દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર અને પૂર્વ શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને સંપન્ન થયો. આ પ્રસંગે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે સમાજને એક થવા, શિક્ષિત થવા અને સંગઠિત થવા પર ભાર મૂક્યો હતો. તેમણે સમાજ ભવનના નિર્માણ માટે રૂ. 2.50 લાખનું દાન જાહેર કર્યું. પૂર્વ શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરે પણ યુવાનોને ભણી-ગણીને આગળ વધવાની પ્રેરણા આપી અને ભવન માટે રૂ. 2.50 લાખનું દાન આપવાની જાહેરાત કરી. મહાનુભાવોના હસ્તે સમાજના તેજસ્વી તારલાઓ અને વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડો. પ્રભાબેન તાવિયાડ, ડો. કિશોર તાવિયાડ, ચંદ્રિકાબેન બારીઆ, શીતલ વાઘેલા, સ્નેહલતા ખાંટ, સી.આર. સંગાડા, ડો. એલ.એમ. ચંદાણા સહિત આદિવાસી વિકાસ ફાઉન્ડેશનના પ્રમુખ કનુ ચંદાણા, મંત્રી નાથુ તડવી, દેવજી ડામોર, ડો. હરિપ્રસાદ કામોલ, ડો. ઇસ્માઇલ સંગાડા, ફુલા ડીંડોર તથા સમસ્ત ટ્રસ્ટીગણ અને આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ઓ, બહેનો, બાળકો અને વડીલો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 7:33 pm

કોંગ્રેસથી અલગ પાર્ટી બનાવવા મુદ્દે ફૈઝલ પટેલનો યૂ-ટર્ન:કાર્યકર્તાઓ પર ઠિકરું ફોડતા કહ્યું- 'તેઓ ઈચ્છા હતા કે હું ઓપિનિયન લવ', કોંગ્રેસ (AP) બનાવવાનો વિચાર રજૂ કર્યો'તો

કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ.અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. જેમાં કોંગ્રેસથી અલગ પાર્ટી (Congress AP) બનાવવાનો વિચાર રજૂ કર્યો હતો. જોકે, હવે આ મુદ્દે ફૈઝલ પટેલે યૂ-ટર્ન લીધો છે અને હાલ નવી પાર્ટી નહીં બતાવવાનું નિવેદન આપ્યું છે. તેમણે કાર્યકર્તાઓ પર ઠિકરું ફોડતા કહ્યું કે, 'તેઓ ઈચ્છા હતા કે હું ઓપિનિયન લવ', હાલ નવી પાર્ટી નહીં બનાવે. ફૈઝલ પટેલે સોશિયલ મીડિયામાં નવી પાર્ટી મુદ્દે પોસ્ટ કરતા જ કોંગ્રેસ વર્તુળોમાં ભારે ચર્ચા જાગી હતી. તેમણે ‘Congress AP’ નામની નવી રાજકીય પાર્ટી બનાવવા અંગે વિચારણા ચાલી હોવાનો સંકેત આપતા રાજકીય ગરમાવો સર્જાયો હતો. જોકે, હવે ફૈઝલ પટેલે સત્તાવાર નિવેદન જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે, તેઓ હાલ નવી પાર્ટી બનાવવાના પ્રયાસોમાં નહીં જાય, તેમજ પક્ષનું વિભાજન થવું યોગ્ય નથી એવું પણ તેમણે જણાવ્યું છે. સમર્થકોની માંગ, પરંતુ પક્ષ વિભાજન અયોગ્ય: ફૈઝલ પટેલફૈઝલ પટેલનું કહેવું છે કે, કોંગ્રેસ છોડીને અલગ રાજકીય મોરચે ઊભા રહેવા માટે તેમના ઘણા સમર્થકોએ ઈચ્છા વ્યક્ત કરી હતી. લાંબા સમયથી કોંગ્રેસમાં કાર્યરત હોવા છતાં સંગઠનના કેટલાક નેતાઓ દ્વારા અવગણનાનો ભોગ બનવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. ગત લોકસભા ચૂંટણી દરમિયાન પણ તેમને યોગ્ય પ્રાથમિકતા ન મળતાં, ઘણીવાર પક્ષમાં પોતાના પ્રયત્નોનું મૂલ્ય ઓછું પડતું હતું. ફૈઝલ પટેલે અંતમાં જણાવ્યું કે, “હાલ માટે નવી પાર્ટી બનાવવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. પરિસ્થિતિ અને પક્ષની એકતા બંને મહત્વની છે. યોગ્ય સમયે સમર્થકો સાથે ચર્ચા કરીને આગળનો માર્ગ નક્કી કરવામાં આવશે.” સોશિયલ મીડિયા પર તેમણે પૂછપરછ કરી હતી કે, “શું નવી પાર્ટી બનાવવી જોઈએ?” આ પ્રશ્ન સામે તેમના સમર્થકો સહિત રાજકીય વર્ગની પ્રતિક્રિયા જોરદાર રહી હતી. પરંતુ હવે ફૈઝલ પટેલે નિર્ણય સ્પષ્ટ કરતા જણાવ્યું કે, સમર્થકોની ઈચ્છા હોવા છતાં પક્ષ છોડીને નવી પાર્ટી બનાવવી હાલ યોગ્ય નથી. કોંગ્રેસના વિભાજનથી સંસ્થાને નુકસાન થશે. મુમતાઝ પટેલની સ્પષ્ટતા-‘હું કોઈ રાજકીય પહેલમાં નથી’ફૈઝલ પટેલની પોસ્ટ બાદ રાજકીય વર્ગમાં ચર્ચાઓ વધી રહી હતી ત્યારે તેમની બહેન મુમતાઝ પટેલે પણ ટ્વિટ દ્વારા પોતાનું મંતવ્ય સ્પષ્ટ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, તેઓ કોઈ રાજકીય પક્ષમાં જોડાવાના મૂડમાં નથી અને કોઈ નવી રાજકીય પહેલનો ભાગ પણ બનવાના નથી. કાર્યકર્તાઓમાં ગત ચૂંટણીથી અકળામણગત લોકસભા ચૂંટણી દરમિયાન ફૈઝલ પટેલની ટિકિટ કપાયા બાદ અનેક કોંગ્રેસ કાર્યકરો પક્ષ છોડીને આમ આદમી પાર્ટી અને ભાજપમાં જોડાયા હતા. કાર્યકર્તાઓનું માનવું હતું કે, અહેમદ પટેલના પરિવારમાંથી કોઈ સભ્ય ચૂંટણી લડે તો ક્ષેત્રમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત થાય. ફૈઝલ પટેલનું કહેવું છે કે, ઘણા કાર્યકરો તેમને કોંગ્રેસ અથવા અપક્ષ તરીકે ચૂંટણી લડવાની સૂચના પણ આપી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 7:27 pm

વડોદરામાં ગેસ લાઇનમાં ભંગાણ:દોઢ લાખ ઘરોમાં ગેસ પુરવઠો બંધ થઈ જતા લોકો બપોરની ચા ન મળી, સાંજનું ડિનર ઘરે બનાવી શક્યા નહીં, મોડી રાત્રે ગેસ પુરવઠો મળે તેવી

વડોદરા શહેરમાં ગેસ પુરવઠો પૂરી પાડતી મુખ્ય નળીકામાં હરણી નજીક ગોલ્ડન ચોકડી પાસે ભંગાણ સર્જાયું હોવાથી અડધા વડોદરા શહેરમાં ગેસ પુરવઠો બંધ થઇ ગયો હતો. આ ઘટનાના પગલે સ્થળ પર ગેસનો ફૂવારો પણ ઉડ્યો હતો. તંત્રને આ અંગેની જાણ થતાં મધ્યરાત્રીના 12 વાગ્યા સુધી રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ થયા પછી જ ગેસ પુરવઠો યથાવત થાય તેવા પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. શહેરમાં ગેસ પુરવઠો બંધ થઈ જતા લોકો બપોરની ચા અને સાંજના ડિનર ઘરે બનાવી શક્યા નહોતા. કેટલાક વિસ્તારોમાં તો બપોરનું ભોજન પણ બની શક્યું નહોતું. ખાસ કરીને પૂર્વ અને ઉત્તર વિસ્તારમાં ગેસ પુરવઠો પહોંચ્યો નહતો અને પશ્ચિમ વિસ્તારમાં પણ અસર થઈ હતી. વડોદરા શહેરના હરણી નજીક ગોલ્ડન ચોકડી પાસે ડ્રેનેજની સુવિદ્યાનું માઇક્રો ટનલિંગનું કામ ચાલતુ હતુ. તે દરમિયાન વડોદરા શહેરને ગેસ સપ્લાય કરતી મુખ્ય નળિકામાં ભંગાણ થતાં ગેસના ફૂવારાઓ ઉડ્યા હતા. આ અંગેની જાણ થતાં વડોદરા ગેસ લીમીટેડ, વડોદરા મહાનગરપાલિકા તથા અગ્નિશમન દળના અધિકારીઓ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોચી ગયા હતા. આ ઘટનાના પગલે વડોદરા શહેરના મોટાભાગના ગેસધારકોના ઘરમાં ગેસ પુરવઠો બંધ થઇ ગયો હતો. વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા ગેસ લાઇનનું રિસ્ટોરેશનની કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી હતી. આ કામગીરી પૂર્ણ થાય તો મધ્ય રાત્રીના 12 વાગ્યા સુધીમાં ગેસનો પુરવઠો યથાવત શરૂ કરી દેવામાં આવશે. બીજી તરફ ગેસની મુખ્ય લાઇનમાં ભંગાણ કેવી રીતે પડ્યુ? ડ્રેનેજની કામગીરી કરી રહેલા કોન્ટ્રાક્ટરની ટીમની નિષ્કાળજીના કે કામગીરીમાં વિવિધ વિભાગો વચ્ચેના સંકલન અને આયોજનનો અભાવ? જેવા પ્રશ્નો ઉભા થયા છે. ગેસ પૂરવઠો બંધ થતાં વડોદરાના દોઢ લાખ ઘરોમાં લગભગ 5 લાખથી વધુ નાગરીકોને સીધી અસર થશે તેમ માનવામાં આવી રહ્યુ છે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 7:26 pm

હિંમતનગરમાં 15 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા:અડાઠમ જથ નાયી કેળવણી મંડળ દ્વારા 25મો સમૂહલગ્નોત્સવ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે અડાઠમ જથ નાયી કેળવણી મંડળ દ્વારા 25મો સમૂહલગ્નોત્સવ યોજાયો હતો. લીમ્બચ માતાજી મંદિર સમાજવાડી ખાતે આયોજિત આ પ્રસંગે 15 નવદંપતીઓએ વિધિવિધાનથી લગ્નગ્રંથિથી જોડાયા હતા. સમૂહલગ્ન સમિતિ દ્વારા નવદંપતીઓને સરકાર દ્વારા મળતા લાભો અને લગ્નનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. સમાજના દાતાઓ દ્વારા કન્યાદાન માટે આપવામાં આવેલી ભેટસોગાદો પણ તમામ યુગલોને અર્પણ કરવામાં આવી હતી. આ સમૂહલગ્નોત્સવની તમામ વ્યવસ્થા સમાજના પ્રમુખ બી.ટી. શર્મા, ઉપપ્રમુખ પ્રવીણ નાયી, મંત્રી જશુ નાયી, દશરથ નાયી સહિતના હોદ્દેદારો અને સમૂહલગ્ન સમિતિના સભ્યો દ્વારા સુપેરે કરવામાં આવી હતી. ભોજન પ્રસાદના મુખ્ય દાતા હિંમતપુર ગામના અરવિંદ કચરાભાઈ પરિવાર તેમજ અન્ય નાયી પરિવારોને સમાજ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અન્ય દાતાઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મંચસ્થ મહાનુભાવો દ્વારા સમાજ વિકાસ, શિક્ષણ અને કેળવણીના મહત્વ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. સમાજે જૂના અને નવા તમામ હોદ્દેદારોનો આ પ્રસંગે આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 7:19 pm

મોરબીમાં બે વ્યક્તિએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું:ભાવિ પત્ની સાથે મનમેળ ન થતા યુવાને અંતિમ પગલું ભર્યું; પરણીતાનો પણ આપઘાત

મોરબીમાં બે અલગ-અલગ ઘટનાઓમાં બે વ્યક્તિઓએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. લીલાપર ચોકડી પાસે એક યુવાને ભાવિ પત્ની સાથે મનમેળ ન થતા આપઘાત કર્યો હતો, જ્યારે બેલા નજીક એક કારખાનાના લેબર ક્વાર્ટરમાં પરણીતાએ ગળાફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું. બંને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ભાણવડના રહેવાસી અને હાલ મોરબીની લીલાપર ચોકડી પાસે પેટ્રોલ પંપ સામે ઝૂંપડામાં રહેતા વિજયભાઈ ભીમાભાઈ ચૌહાણ (ઉંમર 19) એ ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં પોતાના ઘરમાં ગળાફાંસો ખાધો હતો. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવાનની સગાઈ થઈ ગયેલ હતી, પરંતુ ભાવિ પત્ની સાથે કોઈ કારણોસર મનમેળ ન હોવાથી તેણે આ પગલું ભર્યું હતું. મૃતકના ભાઈ મેરૂભાઈ ભીમાભાઈ ચૌહાણે (ઉંમર ૩૦) મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના એમ.પી. ઝાલા ચલાવી રહ્યા છે. બીજી ઘટનામાં, મોરબીના જેતપર ઉપર આવેલા બેલા ગામ નજીક ખોખરા હનુમાન રોડ પરના ગેમ્સઝોન સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા બબલુભાઈ માનસિંગભાઈ વસુનિયાના પત્ની કર્માબેન વસુનિયા (ઉંમર 20) એ પણ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ ઘટના બાદ પરણીતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. મૃતક મહિલાના પતિએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક મહિલાના લગ્નને બે વર્ષ થયા હતા. પોલીસે મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 6:51 pm

પંજાબનો વોન્ટેડ આરોપી જામનગરથી ઝડપાયો:એક દિવસ પહેલા જ ગુજરાત આવેલા લવપ્રિતસિંઘને ATS-જામનગર SOGએ મેઘપરથી દબોચ્યો, અમૃતસર પોલીસને સોંપાશે

પંજાબના અમૃતસર ખાતે હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીની ગુજરાત ATS અને જામનગર SOG દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને જામનગરના મેઘપર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી કંપનીમાં એક દિવસ પહેલા જ હેલ્પર તરીકે છૂટક મજૂરીકામ કરવા આવ્યો હતો. પંજાબ પોલીસની બાતમી ના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. વોન્ટેડ આરોપીની માહિતી પંજાબ પોલીસે ગુજરાત ATS સાથે શેર કરીએક મહિના પહેલા પંજાબના અમૃતસરના 'A' ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મખનસિંઘ મધોળુરામની હત્યાનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ધરમવિરસિંઘ, કરમવિરસિંધ, બિક્રમજીતસિંઘ અને જોનની પંજાબ પોલીસે અટકાયત કર્યા બાદ તેમણે અન્ય વોન્ટેડ આરોપી તરીકે લવપ્રિતસિંઘ હરજીતસિંઘનું નામ આપ્યું હતું. વોન્ટેડ આરોપી લવપ્રિતસિંઘની માહિતી પંજાબ પોલીસે ગુજરાત ATS સાથે શેર કરી હતી. જામનગર SOGએ ગુજરાત ATS સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આરોપીને દબોચ્યોવોન્ટેડ આરોપી લવપ્રિતસિંઘ હત્યા બાદ જામનગર ખાતે આવેલ મેઘપર વિસ્તારની કંપનીઓમાં હેલ્પર તરીકે છૂટક મજૂરી કરવાના હેતુથી એક દિવસ પહેલા જ આવ્યો છે. જેની બાતમી પંજાબ પોલીસ દ્વારા ગુજરાત એટીએસના આપવામાં આવી હતી. ATS દ્વારા તાત્કાલિક આ માહિતી અંગે જામનગર SOGને જાણ કરવામાં આવી હતી. જામનગર SOGએ ગુજરાત ATS સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મેઘપર ખાતે આવેલી ચાલીમાં રહેતા લવપ્રિતસિંઘની ઓળખ કરી તેને દબોચી લીધો હતો. વધુ પૂછપરછ માટે તેને ગુજરાત એ.ટી.એસ. અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો. વોન્ટેડ આરોપીને અમૃતસર સિટી પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરાઈપ્રાથમિક પૂછપરછમાં આરોપી લવપ્રિતસિંઘ હરજીતસિંઘે ધરમવિરસિંઘ અને અન્ય સાગરીતો સાથે મળીને અમૃતસર બસ સ્ટેન્ડ ખાતે મખનસિંઘ મધોળુરામની હત્યાના કાવતરામાં સંડોવાયેલ હોવાની કબૂલાત કરી લીધી છે. ગુજરાત ATS દ્વારા હવે આ વોન્ટેડ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે અમૃતસર સિટી પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 6:48 pm

પાટડીમાં ₹2.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:LCBએ ઓરડીઓમાંથી 852 બોટલ અને બિયર ટીન જપ્ત કર્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પાટડી ટાઉન વિસ્તારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹2,50,375/- ની કિંમતનો પ્રોહિબિશનનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં આરોપીની માલિકીની ઓરડીઓમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 710 નાની-મોટી બોટલો, જેની કિંમત ₹2,19,135/- છે, તે મળી આવી હતી. આ ઉપરાંત, 142 બિયર ટીન પણ જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત ₹31,240/- થાય છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા જિલ્લામાંથી પ્રોહિબિશન અને જુગારની બદીને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે વિશેષ ટીમો બનાવીને પેટ્રોલિંગ હાથ ધરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાને આ અંગે પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના અપાઈ હતી. આ સૂચનાના આધારે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના I/C પો.સબ.ઇન્સ. એન.એ. રાયમાની ટીમોએ સંયુક્ત રીતે પેટ્રોલિંગ કર્યું હતું. સ્ટાફના પો.હેડ કોન્સ. યશપાલસિંહ રાઠોડને મળેલી બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. આ કેસમાં અનિલ તરેટીયા (રહે. પાટડી, તા. પાટડી, જિ. સુરેન્દ્રનગર) નામના આરોપીને પકડવાનો બાકી છે. પાટડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરીમાં LCB ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના I/C પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમા, તેમજ સ્ટાફના એ.એસ.આઈ. અસલમખાન મલેક, પો.હેડ કોન્સ. યશપાલસિંહ રાઠોડ, પો.હેડ કોન્સ. દશરથભાઈ ઘાંઘર, પો.કોન્સ પ્રતાપસિંહ રાઠોડ અને પો.કોન્સ સંજયભાઈ પાઠક સામેલ હતા.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 6:42 pm

નવસારીના યુવક સાથે રૂ. 13.82 લાખની છેતરપિંડી:ટેલિગ્રામ ગ્રુપ દ્વારા શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યું, પૈસા ઉપડવા જતાં ગ્રુપમાંથી રીમુવ કરાયો

નવસારીના એક યુવક સાથે ટેલિગ્રામ ગ્રુપ દ્વારા શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને ₹13.82 લાખની ઓનલાઈન છેતરપિંડી થઈ છે. ઠગબાજોએ રોકાણ કરાવ્યા બાદ પૈસા ઉપાડતી વખતે કમિશન અને ટેક્સના નામે વધુ રકમ પડાવી હતી અને અંતે યુવકને ગ્રુપમાંથી દૂર કરી દીધો હતો. આ મામલે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. ફરિયાદી સુદીપ હિમાંશુ ખટુઆ, જે નવસારીમાં નારાયણ જ્વેલરીમાં નોકરી કરે છે, તેમને 9 જુલાઈ, 2025ના રોજ 'Contract Wealth D118' નામના એક અજાણ્યા ટેલિગ્રામ ગ્રુપમાં સમીર નામના વ્યક્તિ દ્વારા ઉમેરવામાં આવ્યા હતા. આ ગ્રુપનો એડમિન કમલેશ હતો. ગ્રુપમાં 'Cindy' નામની એક મહિલા દ્વારા શેરબજાર ટ્રેડિંગ અંગેની માહિતી આપવામાં આવતી હતી. સિન્ડી સાથે આઠ દિવસની વાતચીત બાદ ફરિયાદીને વિશ્વાસ બેઠો. ત્યારબાદ તેમને '3-person wealth-making group' નામના અન્ય ગ્રુપમાં ઉમેરવામાં આવ્યા અને એક નકલી વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવી એકાઉન્ટ બનાવવામાં આવ્યું. શરૂઆતમાં, ફરિયાદીએ બેંકના ખાતામાંથી ₹50,000નું રોકાણ કર્યું. બે દિવસ પછી ₹10,000નો નફો બતાવવામાં આવતા તેમનો વિશ્વાસ વધુ દ્રઢ થયો. ત્યારબાદ તેમણે તબક્કાવાર કુલ ₹1,30,000નું રોકાણ કર્યું. આ પછી, સિન્ડી અને વિકાસ નામના વ્યક્તિઓએ 'BIGMONEY' નામનો એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો. તેમાં ₹5 લાખનું રોકાણ કરવાથી એક મહિનામાં ₹50 લાખનો નફો મળશે તેવી લાલચ આપવામાં આવી હતી. આ લાલચમાં આવીને ફરિયાદીએ પંજાબ નેશનલ બેંકના ખાતામાંથી સ્કેનર દ્વારા ₹1,29,000 ટ્રાન્સફર કર્યા હતા. 23 ઓગસ્ટ, 2025ના રોજ વિકાસે એપ્લિકેશન એકાઉન્ટમાં ₹57,00,000નું બેલેન્સ દર્શાવ્યું. જ્યારે ફરિયાદીએ રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીઓએ જણાવ્યું કે, ઉપાડ માટે 10% કમિશન અને 10% ટેક્સ, એટલે કે કુલ ₹11,40,000 ચૂકવવા પડશે. આ લાલચમાં આવીને ફરિયાદીએ 23 ઓગસ્ટ, 2025 થી 29 ઓગસ્ટ, 2025 દરમિયાન જુદા જુદા બેંક ઓફ મહારાષ્ટ્ર અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતાઓમાં કુલ ₹11,23,000 ટ્રાન્સફર કર્યા હતા. આ રકમમાં ₹50,000, ₹1,50,000, ₹1,50,000, ₹1,000, ₹1,99,000, ₹1,93,000, ₹10,000 અને ₹2,90,000નો સમાવેશ થાય છે. કુલ ₹13,82,000ની છેતરપિંડી (રોકાણ અને ઉપાડ ચાર્જ સહિત) થયા બાદ પણ 1 સપ્ટેમ્બર, 2025ના રોજ રકમ ઉપાડી શકાઈ નહીં. ફરિયાદીએ સંપર્ક કરવાનો પ્રયાસ કરતા ઠગબાજોએ તેમને તમામ ટેલિગ્રામ ગ્રુપમાંથી દૂર કરી દીધા. આ મામલે સમીર, કમલેશ, સિન્ડી, વિકાસ અને તપાસમાં સામેલ અન્ય આરોપીઓ વિરુદ્ધ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદેસર કાર્યવાહી માટે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી.પટેલીયાને B.N.S.S કલમ 176 હેઠળ જાહેર રિપોર્ટ સોંપી તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 6:40 pm

બહુચરાજી પોલીસ દ્વારા સઘન ટ્રાફિક ડ્રાઇવનું આયોજન:ત્રણ દિવસમાં ટ્રાફિકને અડચણરૂપ લગતા 12 કેસ તેમજ 17 વાહનોને ઇ-મેમો ફટકારાયા

મહેસાણા જિલ્લા પોલીસ વડા તેમજ નાયબ પોલીસ અધિક્ષક કડી વિભાગનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ બહુચરાજી પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ટાઉન વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઇવનું સઘન આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવ દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અડચણરૂપ લગતા 12 કેસ તેમજ 17 વાહનોને ઇ-મેમો ફટકારાયાપોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, છેલ્લા ત્રણ દિવસમાં ટ્રાફિકને અડચણરૂપ બનવા બદલ બી.એન.એસ. 285 મુજબ કુલ 12 કેસ કરવામાં આવ્યા છે, અને 17 વાહનોને ઈ-મેમો ફટકારવામાં આવ્યા છે. આ ઉપરાંત સથાનિક લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સહકાર આપવા માટે માઈક દ્વારા જાહેરાત કરીને સૂચનાઓ પણ આપવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવા વિશેષ ડ્રાઇવનું આયોજનઉલ્લેખનીય છે કે, હારીજથી બિલિયા-બહુચરાજી આવતો સ્ટેટ હાઈવે મોટા વાહનો માટે હાલમાં બંધ છે. વળી, મહેસાણા-મોઢેરા-બહુચરાજીના રસ્તા પર પણ બ્રિજનું કામકાજ ચાલતું હોવાથી જાહેરનામું બહાર પાડીને રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આ કારણોસર મોટાભાગના વાહનો બહુચરાજી ટાઉનમાંથી પસાર થતાં હોવાથી સાંકડી બજારમાં અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બહુચરાજી પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવા માટે આ વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 6:34 pm

પૂરપાટ ઝડપે દોડતી કાર અકસ્માતના CCTV:રાજકોટમાં આમ્રપાલી બ્રિજ પાસે નબીરાઓ અન્ય કાર સાથે એકસીડન્ટ કરી નાસી છૂટ્યા, કોઈ પગપાળા જતુ હોત તો જીવ જાત

રાજકોટમાં અકસ્માતની વધુ એક ઘટના બની છે જેમાં પૂરપાટ ઝડપે આવતી કારે સામેથી આવતી કારને હડફેટે લઈ નુકશાન પહોંચાડ્યું હતુ. જોકે અકસ્માત બાદ કાર ચાલક યુવાન સહિતના નાસી છૂટ્યા હતા. સદનસીબે આ રોડ ઉપર પગપાળા કોઈ જતુ ન હોવાથી માનવીય જાનહાનિ થઈ નથી પરંતુ અન્ય કારમાં નુકશાન પહોંચ્યું હતું. આ ઘટના ના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં કાર પુરપાટ ઝડપે આવતી હોવાનું દેખાય છે અને ત્યારબાદ આ કારમાંથી એક પછી એક પાંચ જેટલા યુવાનો નીચે ઉતરે છે અને પછી નાસી છૂટે છે. રાજકોટના નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર અરાઈસ વન બિલ્ડીંગમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા 34 વર્ષીય નિખિલેશભાઇ ગોહેલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હુ ગોંડલ રોડ મારૂતી સુઝુકીના શો-રૂમમાં મનેજર તરીકે નોકરી કરું છું અને મારા નામે GJ-03-NB-5038 નંબરની મારૂતી સુઝુકી કંપનીની ફોક્સ કાર છે આ કારનો ઉપયોગ હું કરું છું. આજે (30 નવેમ્બર) ના સવારના હું મારા ઘરેથી ગોંડલ રોડ ખાતે શો-રૂમ પર મારી નોકરીએ જવા મારી કાર લઈ નીકળ્યો હતો અને ભોમેશ્વરથી એરપોર્ટ ફાટક થઈ આમ્રપાલી બ્રિજ તરફ જવાના રોડ ઉપર રેલ્વેના પાટા પાસે રોડ પર મારી કાર લઇ જઈ રહ્યો હતો ત્યારે એરપોર્ટ ફાટકથી આમ્રપાલી બ્રીજ વચ્ચે 10.30 વાગ્યે પહોંચતા મારી કારની સામેથી આવતી સફેદ કલરની કારનો ચાલક પોતાના પુરઝડપે આવ્યો અને મારી કારની ડ્રાઈવર સાઇડ આગળના ભાગે પોતાની કાર ભટકાડી હતી. જેથી મારી કારમાં આગળ બમ્પરની જમણી સાઇડના ભાગમાં બમ્પર તેમજ હેડલાઈટને નુકશાન થયેલુ છે અને આ અકસ્માતમાં મારી પાછળ આવતા એક એક્ટીવા ચાલક દંપતીને પણ આ અકસ્માતમાં નુકશાન થયું છે. આ અકસ્માતમાં મને કોઈ ઈજા થઈ નથી પરંતુ અકસ્માત કરનાર કારનો ચાલક કાર મુકી જતો રહેલ હતો અને તે કાર જોતા જે વોક્સવેગન કંપનીની GJ-06-ED-4816 નંબરની પોલો કાર હતી. આ કારના ચાલકે પોતાના હસ્તકની કાર બેફીકરાઈથી, માનવ જિંદગી જોખમાય તે રીતે પુરઝડપે ચલાવી હતી અને અકસ્માત કર્યો હતો. જેથી અકસ્માત સર્જનાર કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. નોંધનીય છે કે અકસ્માતના જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં અકસ્માત થયા બાદ કારમાંથી એક પછી એક પાંચ જેટલા યુવાનો ઉતરે છે અને ત્યારબાદ તેઓ કાર મૂકી નાસી જાય છે. તેઓની પાસે પોતાની કાર હતી કે અન્ય કોઈની કાર લઈને આવ્યા હતા ? તેમની પાસે લાયસન્સ હતું કે કેમ તે સહિતની બાબતે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 6:33 pm

ગાંધીધામમાં ST બસ ચાલક નશામાં ઝડપાયો:માતાનામઢ-જામનગર રૂટની બસ અનિયંત્રિત રીતે ચાલતી હોવાનું જણાતા મુસાફરોએ બસ રોકી પોલીસને બોલાવી

ગાંધીધામમાં રવિવારે માતાનામઢ-જામનગર રૂટની એક એસટી બસનો ચાલક નશાની હાલતમાં ઝડપાયો હતો. ટાગોર રોડ પર બસ અનિયંત્રિત રીતે ચાલતી હોવાનું જણાતા મુસાફરો અને અન્ય વાહનચાલકોની મદદથી તેને રોકવામાં આવી હતી. સમયસરની કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે આ ઘટના અંગે કાર્યવાહી કરી હતી. ઇફકો નજીક મુસાફરો દ્વારા બસ રોકવામાં આવ્યા બાદ પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે જામનગર જિલ્લાના ધ્રોલ ગામના રહેવાસી બસ ચાલક અજયસિંહ મહાવીરસિંહ જાડેજાની નશાની હાલતમાં અટકાયત કરી હતી. તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અંજાર ડેપો મેનેજર એચ.આર. સામળાએ જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં જ રૂટના કંડક્ટર દ્વારા અન્ય ડ્રાઈવર અને કંડક્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે બસને આગળ રવાના કરવામાં આવી હતી. મૂળ કંડક્ટરને ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે રોકવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 6:26 pm

મોટા પાંચદેવડામાં વૃદ્ધ ખેડૂત દંપતી પર હુમલો:વાડીમાં ઘૂસી ધાડપાડુ ગેંગે રૂ. 65 હજારના દાગીનાની લૂંટ કરી

કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડા ગામમાં મોડી રાત્રે એક વૃદ્ધ ખેડૂત દંપતી પર ધાડપાડુ ગેંગે હુમલો કર્યો હતો. લૂંટારુઓ રૂ. 65,000ની કિંમતના સોનાના ઘરેણાં લૂંટી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ ફરિયાદ મુજબ, મોટા પાંચદેવડા ગામના ખેડૂત કાબાભાઈ અને તેમના પત્ની હિરુબેન ગઈકાલે રાત્રે તેમની વાડીમાં સૂતા હતા. તેમના પૌત્ર વિરાંગભાઈ ભીખાભાઈ અજુડીયા બાજુના ગામમાં લગ્ન પ્રસંગમાં ડીજે ઓપરેટ કરવા ગયા હતા. દરમિયાન, મોડી રાત્રે પાંચ અજાણ્યા લૂંટારુઓ વાડીમાં ઘૂસી આવ્યા હતા. તેમણે વૃદ્ધ દંપતી પર હુમલો કરી તેમને ઇજાગ્રસ્ત કર્યા હતા. લૂંટારુઓએ હિરુબેનના કાનમાંથી બે તોલા સોનાના કાપ અને ઘરમાંથી ચાંદીની વીંટી તથા બંગડી સહિત કુલ રૂ. 65,000ના ઘરેણાંની લૂંટ ચલાવી હતી. લૂંટારુઓ ઘરનો સામાન વેરવિખેર કરીને ભાગી છૂટ્યા હતા. બાજુની વાડીના ખેડૂતોને આ ઘટનાની જાણ થતાં તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પૌત્ર વિરાંગભાઈએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ચાર અજાણ્યા લૂંટારુઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.જી. પનારા અને તેમની ટીમ ધાડપાડુ ગેંગને ઝડપી પાડવા માટે સઘન તપાસ ચલાવી રહી છે, પરંતુ હજુ સુધી લૂંટારુઓનો કોઈ પત્તો મળ્યો નથી.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 6:08 pm

યુવક સૂતો હતો ને આગના ધુમાડામાં ગૂંગળાયો, LIVE રેસ્ક્યુ:વેડરોડ પર લૂમ્સના કારખાનામાં ભીષણ આગ, ત્રીજા માળે ફસાયેલા યુવકને ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરી બચાવ્યો

સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં આવેલ પટેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના 4 નંબરના લૂમ્સના કારખાનામાં ભીષણ આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. આ આગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ચાર ફાયર સ્ટેશનની 10 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્રીજા માળે ફસાયેલા યુવકને ઓક્સિજન માસ્ક પહેરીને બચાવવામાં આવ્યો હતો. આગ પર કાબૂ મેળવવા 10 ફાયર ફાઈટર ગાડીઓ તૈનાતમળતી માહિતી પ્રમાણે સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલા પટેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચાર નંબરનું લુમ્સનું કારખાનું આવેલું છે. જેમ આગ સૌપ્રથમ કારખાનાના પહેલા માળે લાગી હતી, જે જોતજોતામાં પ્રસરી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ટીમો તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે ચાર ફાયર સ્ટેશનની 10 જેટલી ફાયર ફાઈટર ગાડીઓ તૈનાત કરવામાં આવી હતી. કારખાનાના ત્રીજા માળે નોકરી પરથી આવીને સૂતેલો વ્યક્તિ ફસાયોફાયર વિભાગના જવાનોએ સઘન અને ઝડપી કાર્યવાહી કરીને આશરે 45 મિનિટના સમયગાળામાં આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો. જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને આગ બુઝાવવાની કામગીરી કરી હતી. આ ઘટનાનો સૌથી ગંભીર અને સંવેદનશીલ ભાગ ત્રીજા માળે ફસાયેલા એક યુવકનો હતો. કારખાનાના ત્રીજા માળે નોકરી પરથી આવીને સૂતેલો એક વ્યક્તિ આગના ધુમાડાને કારણે ફસાઈ ગયો હતો. યુવક સૂતો હતો તે દરમિયાન જ ધુમાડો પહોંચી જવાના કારણે ગૂંગળામણ અનુભવી રહ્યો હતો. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની સંભાવનાફાયર વિભાગના જવાનોએ તુરંત જ ત્રીજા માળ સુધી પહોંચીને, બારીની ગ્રીલ તોડીને, ફસાયેલા યુવકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. રેસ્ક્યુ કરાયેલા વ્યક્તિને બાદમાં સીડીની મદદથી સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો. સદનસીબે, સમયસર કાર્યવાહી થવાથી મોટી જાનહાનિ ટળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તો આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 5:59 pm

ગુજરાત પોલીસમાં બમ્પર ભરતીની જાહેરાત:20 વર્ષની લિવ-ઈન પાર્ટનરની ક્રૂર હત્યા, ઈન્ટરનેશનલ સિમ ફ્રોડનો પર્દાફાશ; 'આપ'ની મહાપંચાયતમાં પોલીસ પર પ્રહાર

ગુજરાત પોલીસમાં બમ્પર ભરતીની જાહેરાત ગુજરાત પોલીસમાં PSI અને લોકરક્ષકની 13,591 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ બમ્પર ભરતી માટે 3થી 23 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આપની કિસાન મહાપંચાયતમાં પોલીસ પર પ્રહાર આમ આદમી પાર્ટીએ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ચડોતર ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું,જેમાં ગોપાલ ઈટાલિયાએ પોલીસ પર પ્રહાર કર્યા. પોલીસને પટ્ટો એ કમર ઉપર પહેરવા આપેલો છે. જ્યાં સુધી પટ્ટો કમર ઉપર છે ત્યાં સુધી એની ઈજ્જત છે, પણ કોઈ કમરેથી પટ્ટો કાઢીને ગળામાં પહેરી લે અને ટોમી બની જાય તો શું કરવું? કમરનો પટ્ટો જે અધિકારીએ કમર ઉપર પહેર્યો છે, એને બે હાથે કડક સેલ્યુટ છે પણ કમરના પટ્ટા કાઢી ગળામાં પહેર્યા છે અને ટોમી બની ગયા છે ભાજપના, એના પટ્ટા તો ઉતરવા જ જોઈએ, એમાં ખોટું શું છે? આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો SIRના કામનું નિરીક્ષણ કરવા બૂથ વિઝિટ કરી સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સી. આર પાટિલ આજે SIRની કામગીરીનું નિરીક્ષણ કરવા બુથ વિઝિટ પર પહોંચ્યા.. અહીં તેમણે BLOsની કામગીરીના વખાણ કર્યા...સાથે જ લોકોને પણ સહકાર આપવા અપીલ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઈન્ટરનેશનલ સિમ ફ્રોડ કૌભાંડનો પર્દાફાશ અમદાવાદ સાયબર ક્રાઈમે ઈન્ટરનેશનલ સીમ ફ્રોડ કૌભાંડનો પર્દાફાશ કરી 4 લોકોની ધરપકડ કરી. આરોપીઓએ બે વર્ષમાં ગુજરાતમાંથી 1000થી વધુ સિમકાર્ડ દુબઈ પહોંચાડ્યા. સિમકાર્ડનો ઉપયોગ સાઈબર ક્રાઈમ- બેટિંગમાં થતો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 20 વર્ષની લિવ-ઈન પાર્ટનરની ક્રુર હત્યા મોરબીમાં પ્રેમીએ લિવ-ઈનમાં રહેતી પ્રેમિકાની નિર્મમ હત્યા કરી નાખી.. મોઢા-ગાલ પર બચકાં ભરી, પટ્ટા અને ધોકાથી માર મારી હત્યા નિપજાવી.. પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી, જ્યાં કસ્ટડીમાં તેનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દીકરી ગુમાવનાર માતા-પિતાનો કલ્પાંત રાજકોટમાં હિટ એન્ડ રનમાં દીકરી ગુમાવનાર પિતાએ સીજેઆઈને પત્ર લખી, ન્યાયની માગ કરી છે.. દીકરીના અંતિમ સંસ્કાર પણ ન કરી શકાતા માતા વલોપાત કરે છે. સાત નવેમ્બરે થયેલા અકસ્માતમાં 15 વર્ષીય સગીરાનું મોત થયું હતં. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખેડૂતને 'રાજકુમાર જાટ જેવા હાલ 'કરવાની ધમકી ગોંડલમાં ટેકાના ભાવે મગફળીમાં ગોલમાલનો આક્ષેપ કરનાર ખેડૂતને રાજકુમાર જાટ જેવા હાલ કરવાની ધમકી આપી.. સાતથી આઠ જેટલા લોકોએ ખેડૂતને માર મારી સાતથી આઠ લોકોએ ધમકી આપતા કહ્યું અહીં ગણેશ અને લાલા રાજ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સિંહ સદનની નકલી વેબસાઈટથી છેતરતો આરોપી ઝડપાયો સાસણમાં સિંહ સદનની નકલી વેબસાઈટ બનાવી, ઓનલાઈન બુકિંગના નામે પૈસા પડાવતા આરોપી નાસિરને પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે.આરોપીએ જગન્નાથ મંદિર ટ્રસ્ટ ને શ્રીરામ આશ્રમની પણ વેબસાઈટ બનાવી હતી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગટરના તૂટેલા ઢાંકણાએ નિર્દોષનો ભોગ લીધો અમદાવાદમાં રસ્તા પર ગટરના તૂટેલા ઢાંકણાએ નિર્દોષનો ભોગ લીધો. બાઈક પર જતા આધેડ ઢાંકણાને કારણે નીચે પટકાયા અને ગંભીર રીતે ઈજાગ્ર્સ્ત થયા. જેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નલિયાને પાછળ છોડી અમરેલી, વડોદરા સૌથી ઠંડા રાજ્યમાં સૌથી ઠંડા રહેતા નલિયાને અમરેલી અને વડોદરાએ પાછળ છોડ્યા.. બંને શહેરોમાં તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું..નલિયામાં તાપમાન 2.6 ડિગ્રી વધીને 17.6 ડિગ્રી પર પહોંચ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 5:59 pm

અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે બે રાઉન્ડ ફાયરિંગ:દંપતી વચ્ચે ઝઘડો થતાં પતિએ ઘરની બહાર ફાયરિંગ કર્યું, પોલીસે અટકાયત કરી

અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે ફાયરિંગનો બનાવ બન્યો છે. સુભાષ સોસાયટીના બંગલા નંબર 16માં ફાયરિંગનો બનાવ રહ્યો છે. ઘરમાં પતિ-પત્નીનો ઝઘડો થતાં પતિએ ઘરની બહાર આવીને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. ફાયરિંગમાં કોઈને બીજા પહોંચી નથી. બનાવવાની જાણ થતા ગુજરાતી યુનિવર્સિટી પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ફાયરિંગ કરનારની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 5:57 pm

બિલ વગર ચાઈનાના એરપોડ્સ-સ્માર્ટવોચનું વેચાણ કરતા ચાર ઝડપાયા:નવસારી LCBએ ₹1.62 લાખનો ઇલેક્ટ્રોનિક્સ સામાન અને બે એક્ટિવા જપ્ત કરી

નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ બિલ કે આધાર પુરાવા વગરના એપલના નામવાળી(મેડ ઈન ચાઈના) અને અન્ય ચાઇના બનાવટના એરપોડ્સ તથા સ્માર્ટવોચનું વેચાણ કરતા ચાર ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ ₹1.62 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ઇલેક્ટ્રોનિક્સ સામાન અને બે એક્ટિવા વાહનોનો સમાવેશ થાય છે. LCB ના પોલીસ કોન્સ્ટેબલ અર્જુન પ્રભાકરભાઇ, નિલેશ રતીલાલ અને અર્જુનકુમાર હર્ષદભાઇને 29 નવેમ્બરના રોજ ખાનગી રાહે માહિતી મળી હતી. આ માહિતી અનુસાર, ગણેશ સિસોદ્રા ઓવર બ્રિજ નીચે ચાર વ્યક્તિઓ મોપેડ બાઇક પર ફરીને ગ્રાહકોને બિલ વિનાનો એપલ અને ચાઇના બનાવટનો ઇલેક્ટ્રોનિક્સ સામાન વેચી રહ્યા હતા. આ બાતમીના આધારે, LCB ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને સાજીદ ઇસ્લામ મેવાતી, ગય્યર ઇલીયાસ ચૌધરી, મોહમદ રમીજ તાજીમ ચૌધરી અને નૌસાદઅલી જીલેદિન ચૌધરી નામના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી મળી આવેલા એરપોડ્સ અને સ્માર્ટવોચના કોઈ આધાર-બિલ કે પુરાવા મળી આવ્યા નહોતા. પૂછપરછ દરમિયાન, આ મુદ્દામાલ ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાયું હતું. પોલીસે જપ્ત કરેલા ₹1.62 લાખના મુદ્દામાલમાં 7 નંગ IPHONE નામવાળી (મેડ ઇન ચાઇના) વોચ, 2 નંગ SERIES 10 વોચ, 2 નંગ SERIES 09 વોચ, 7 નંગ AIRPODS PRO Earduds, 8 નંગ ઓરેન્જ કલરના Wireless headset Earduds અને 8 નંગ સફેદ કલરના Wireless headset Earduds નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, UP-12-BB-9482 નંબરની સફેદ એક્ટિવા અને TS-08-GU-6760 નંબરની કાળા કલરની એક્ટિવા પણ જપ્ત કરવામાં આવી છે. ગુનો કરવાની મોડસ ઓપરેન્ડી (M.O.)પકડાયેલા આરોપીઓ બિલ કે આધાર પુરાવા વગરના Apple અને અન્ય કંપનીના (ચાઇના બનાવટના) એરપોર્ડ તથા સ્માર્ટવોચ ચોરી અથવા છળકપટથી મેળવીને સુરત ગ્રામ્ય, નવસારી, તાપી અને ડાંગ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને વેચતા હતા અને આર્થિક લાભ મેળવતા હતા.LCB એ ચારેય ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેમને વધુ તપાસ માટે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે.ઝડપાયેલા આરોપીઓના નામ:

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 5:43 pm

શું બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓ મારા દેશના નેતા નક્કી કરે?:હર્ષ સંઘવીનો SIRનો વિરોધ કરનારાઓને જડબાતોડ જવાબ, કહ્યું- 'વિરોધીઓનું ષડયંત્ર શું છે એ સમાજ ખૂબ જાણે છે'

SIRની કામગીરીને લઈ ડેપ્યુટી સીએમનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. હર્ષ સંઘવીએ SIRની કામગીરીનો વિરોધ કરનારાઓને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે, કોઈ પણ દેશનો નેતા, રાજ્યનો નેતા, નગરપાલિકાના નેતા એ ક્ષેત્રના નાગરિકોનો હક હોવો જોઈએ કે તેમનો નેતા કોણ હશે. શું બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓ મારા દેશના નેતા નક્કી કરે? વિરોધીઓનું ષડયંત્ર શું છે એ સમાજ ખૂબ જાણે છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીપંચ દ્વારા આયોજિત સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) હેઠળ ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ શહેરના વિવિધ બૂથો પર કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન SIRની કામગીરી કરતા BLO કર્મચારીઓ સાથે વાતચીત કરી અને બે હાથ જોડી તેમનો આભાર માન્યો હતો. આ ઉપરાંત તેમને જમવા માટે ફૂડ પેકેટ પણ આપ્યા હતા. 'નેતાને નક્કી કરવા હક એ ક્ષેત્રના નાગરિકોનો જ હોવો જોઈએ'રાજ્યના ડેપ્યુટી સીએમ સુરત ખાતે SIRની કામગીરીનો વિરોધ કરનારાઓને આકરા શબ્દોમાં જડબાતોડ જવાબ આપ્યો હતો. હર્ષ સંઘવીએ ભારપૂર્વક કહ્યું હતું કે, દેશનો નેતા કે કોઈપણ રાજ્યના નેતા કે પછી કોઈપણ નગરપાલિકા-મહાનગરપાલિકાના નેતાએ એ ક્ષેત્રના નાગરિકોનો જ હક હોવો જોઈએ એ નેતાને નક્કી કરવા માટેનો નહીં કે કોઈ ઘૂસણખોરોનો. આ નિવેદન દ્વારા તેમણે લોકશાહી પ્રક્રિયામાં માત્ર કાયદેસરના નાગરિકોના જ અધિકારને સ્થાપિત કર્યો હતો. આ બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓ મારા દેશના નેતા નક્કી કરે?વિરોધ કરનારાઓને સીધો સવાલ પૂછતાં તેમણે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો કે, આ જે લોકો વિરોધ કરી રહ્યા છે એ શું ઇચ્છે છે? આ બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓ મારા દેશના નેતા નક્કી કરે? મારા રાજ્યના નેતા નક્કી કરે? આ બાંગ્લાદેશી ઘૂસપેઠિયા નક્કી કરશે કે દેશના નેતા કોણ હશે? 'વિરોધીઓનું ષડયંત્ર શું છે એ સમાજ ખૂબ જાણે છે'તેમણે વિરોધીઓની નીયત પર સવાલ ઉઠાવતા કહ્યું કે, વિરોધ કરી રહ્યા છે એનું ષડયંત્ર શું છે? એ સમાજ ખૂબ સારી રીતે જાણે છે. આ નિવેદન દ્વારા તેમણે SIRની કામગીરીના વિરોધને માત્ર કાયદાકીય નહીં પણ રાષ્ટ્રીય સુરક્ષા અને લોકશાહી પ્રક્રિયાને ખોરવવાનું ષડયંત્ર ગણાવ્યું હતું. SIR કામગીરીનો કેટલાક સંગઠનો દ્વારા વિરોધઉલ્લેખનીય છે કે, ડેપ્યુટી સીએમનું આ નિવેદન રાજ્યમાં SIR દ્વારા શંકાસ્પદ/ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ગેરકાયદે વસતા લોકો સામે કરવામાં આવતી કામગીરીના સંદર્ભમાં આવ્યું હતું. આ કામગીરીનો કેટલાક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે હર્ષ સંઘવીએ સરકારના ઈરાદા અને કાયદાના શાસન પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ કરી હતી. તેમનું નિવેદન ગુજરાતમાં ગેરકાયદેસર વસતા વિદેશી ઘૂસણખોરો સામેની ઝુંબેશની ગંભીરતા દર્શાવે છે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 5:39 pm

2025 મતદાર યાદી સુધારણા ઝુંબેશ:5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ, 92.39% ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે

ગુજરાતમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત 2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ થઈ ગયું છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં 100 ટકા ફોર્મ વિતરણનું લક્ષ્ય પ્રાપ્ત થયું છે, જ્યારે થોડાક જિલ્લાઓમાં પણ શીઘ્ર પૂર્ણ થવાની પ્રક્રિયા ચાલુ છે. પરત મળેલા ફોર્મના ડિજીટાઈઝેશનનું કામ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. ગણતરી પ્રક્રિયા 4 ડિસેમ્બર સુધી ચાલશેભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરીની ટીમ રાજ્યભરના ચૂંટણી અધિકારીઓ અને BLOના સહયોગથી સમગ્ર ઝુંબેશને વેગવાન બનાવી રહી છે. ગણતરી પ્રક્રિયા 4 ડિસેમ્બર સુધી ચાલશે. ડિજીટાઈઝેશનમાં 92.39% કામગીરી સાથે ડાંગ જિલ્લો પહેલા સ્થાને છે. જ્યારે ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહીસાગર સહિતના જિલ્લાઓ ટોપ-10માં સામેલ છે. ગણતરી દરમિયાન રાજ્યભરમાં 14.96 લાખથી વધુ અવસાન પામેલા મતદારો, 3.45 લાખ ગેરહાજર, 20 લાખ કાયમી સ્થળાંતરિત અને 2.49 લાખ રિપીટેડ મતદારો નોંધાયા છે. મતદાર યાદીના શુદ્ધિકરણ અને પારદર્શકતા માટે કાર્યરત રાજ્યના તમામ BLOને CEO કચેરી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને કોઇ તકલીફ હોય તો સ્થાનિક કચેરીનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. ઝુંબેશનો મુખ્ય સંદેશ: “પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય.”

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 5:38 pm

ડાંગમાં ₹11.69 કરોડના માર્ગ વિકાસ કાર્યો શરૂ:આહવા તાલુકાના 15 ગ્રામ્ય રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું

આહવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ વિકાસને વેગ આપવા માટે કુલ 15 રસ્તાઓના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા. જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આ કાર્યો કુલ રૂ. 11.69 કરોડના ખર્ચે નિર્માણ પામશે. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજય પટેલની ઉપસ્થિતિમાં હનવતચોંડ અને મહાલપાડા ગામે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે વિજય પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર ડાંગ જેવા અંતરિયાળ જિલ્લાના માર્ગ વિકાસને અગ્રતા આપીને સતત કાર્યરત છે. ગ્રામ્ય વિસ્તારોમાં બાકી રહેલા માર્ગ કામો પણ ઝડપથી હાથ ધરાશે, જેનાથી ડાંગના સર્વાંગી વિકાસને વધુ ગતિ મળશે. તેમણે ગ્રામજનોને સહકાર આપવા અનુરોધ કરતા કહ્યું કે, સજ્જડ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત રસ્તાઓ બને તે માટે ઇજારદાર અને સ્થાનિક આગેવાનો બંનેએ સંવેદનશીલતા સાથે જવાબદારી નિભાવવી જરૂરી છે. આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશ ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું કે, ડાંગમાં અત્યાર સુધી આશરે રૂ. 700 કરોડથી વધુના માર્ગ કાર્યો મંજૂર કરાવવામાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડકના પ્રયત્નો મહત્વના રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, શાળા પ્રવેશોત્સવ જેવા રાજ્ય સરકારના પ્રયાસોથી આજે ડાંગમાં શિક્ષણ પ્રગતિનો દર નોંધપાત્ર રીતે વધી રહ્યો છે અને વિદ્યાર્થીઓ સરકારી યોજનાઓ દ્વારા ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચી રહ્યા છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા અપાયેલી માહિતી મુજબ, હનવતચોંડ ખાતે રૂ. 972 લાખના કુલ 14 રસ્તાઓ અને મહાલપાડા ખાતે રૂ. 195 લાખના 4 રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ માર્ગો પૂર્ણ થયા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહનની સુવિધા વધશે, મુસાફરો માટે સુરક્ષિત અને આરામદાયક મુસાફરી શક્ય બનશે, તથા જિલ્લા મુખ્ય મથક સુધી પહોંચવું વધુ સરળ બનશે. કાર્યક્રમ બાદ વિજય પટેલે ‘ભીસ્યા જુથ પાણી પુરવઠા યોજના’ હેઠળ ભીસ્યા ડેમની મુલાકાત લીધી હતી. તેમણે પાણીની ઉપલબ્ધતા વધારવાના મુદ્દે અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી પાણીની સમસ્યા ઉકેલવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. આહવા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો, સ્થાનિક આગેવાનો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં માર્ગ સુવિધાને મજબૂત બનાવવા માટે આ કાર્યો એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 5:34 pm

પાટણમાં લોહાણા યુવક મંડળનો 40મો સમૂહ લગ્ન ઉત્સવ:12 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા, બ્લડ ડોનેશન અને સર્વાઇકલ રસીકરણ કેમ્પ યોજાયો

પાટણના ખાડિયા મેદાન ખાતે લોહાણા યુવક મંડળ દ્વારા 40મો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો. આ પ્રસંગે સમાજના 12 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સંતો-મહંતો, સમાજના દાતાઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ ઉત્સવ સંપન્ન થયો હતો. સમૂહ લગ્ન ઉત્સવના ભાગરૂપે, શ્રી લોહાણા યુવક મંડળ પાટણ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પાટણના સામાજિક કાર્યકર લાલેશ ઠક્કરે રક્તદાન કરીને અન્ય દાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીએ તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત, સમાજની દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સરથી બચાવવા માટે સર્વાઇકલ રસીકરણ કેમ્પ પણ યોજાયો હતો. અમદાવાદના દાતા ભગવતીબેન નગીનદાસ ખુમાજી પરિવાર (ઝાબડીયા)ના આર્થિક સહયોગથી આ કેમ્પનું આયોજન થયું હતું, જેમાં 250 જેટલી દીકરીઓએ રસીનો લાભ લીધો હતો અને દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. બાર નવદંપતીઓએ પાટણના વિદ્વાન પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાનથી લગ્નગ્રંથિથી જોડાયા હતા. સંત જાનકીદાસ બાપુ અને હરિદાસ બાપુનું સમાજની મહિલાઓએ સામૈયું કરીને સ્વાગત કર્યું હતું. સ્ટેજ પર પહોંચતા તેમનું પુષ્પવર્ષા અને ફુલહાર-શાલ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાનકીદાસ બાપુએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા, જ્યારે હરિદાસ બાપુએ દીકરીઓને આશીર્વાદ સાથે યથાશક્તિ કવર રૂપી ભેટ આપી હતી. વિલાજ ગ્રુપના વિપુલભાઈ ઠક્કરે સમૂહ લગ્નમાં જોડાયેલા તમામ દંપતીઓને પોતાના ખર્ચે ગોવા ટ્રીપ ભેટ સ્વરૂપે જાહેર કરી હતી. સતીષ ઠક્કરે 40મા સમૂહ લગ્ન ઉત્સવના તમામ ખર્ચના દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે સમૂહ લગ્ન, મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વાઇકલ રસીકરણ કેમ્પનો આ 'ત્રિવેણી સંગમ' દાતાઓના સહયોગથી સફળ બન્યો હતો. સમૂહ લગ્નના સ્ટેજ પરનો તમામ કાર્યભાર સમાજના ઉત્સાહી પી.આઈ. ઠક્કર દ્વારા સંભાળવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 5:15 pm

અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના નવા હેડ ઓફિસનું ભૂમિપૂજન:મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે ભૂમિપૂજન કરાયું, દિલીપ સંઘાણી ઉપસ્થિત રહ્યા

અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના નવા હેડ ઓફિસ બિલ્ડીંગના ભૂમિપૂજન સમારોહ ધારી રોડ પરના અમર ડેરી ચિલિંગ પ્લાન્ટ ખાતે યોજાયો હતો. રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે આ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, પૂર્વ સાંસદ નારણ કાછડિયા, અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયા અને હિરેન હિરપરા સહિતના હોદ્દેદારો તથા સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રી કૌશિક વેકરિયા, ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી અને પૂર્વ સાંસદ નારણ કાછડિયા એક મંચ પર જોવા મળ્યા હતા.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 5:11 pm

પારડીના કુંભારીયા ગામમાં ચોરી, 7.60 લાખની મત્તા ગાયબ:તસ્કરે તોડફોડ કર્યા વગર કબાટના ખાના ચાવી વડે ખોલી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કુંભારીયા ગામના મોરા ફળિયામાં 16 થી 25 નવેમ્બર દરમિયાન એક ચોરીની ઘટના બની છે. અજાણ્યા તસ્કરે ઘરમાંથી કુલ 7.60 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, પરિવારના સભ્યોની ગેરહાજરીમાં અજાણ્યા તસ્કરે ઘરમાં પ્રવેશ કર્યો હતો. ચોરે કોઈપણ પ્રકારની તોડફોડ કર્યા વગર કબાટના ખાના ચાવી વડે ખોલીને કિંમતી સામાન ચોરી લીધો હતો. ચોરીની જાણ ત્યારે થઈ જ્યારે પરિવાર લગ્ન પ્રસંગે જવા માટે ઘરેણાં કાઢવા કબાટ ખોલ્યું. સોનાના દાગીના ગુમ થયેલા જોઈને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું. ત્યારબાદ વિગતવાર તપાસ કરતાં સામે આવ્યું કે તસ્કરે અગાઉના દિવસોમાં જ ચાંદીના દાગીના અને રોકડ પણ ચોરી કરી હતી. ચોરાયેલી વસ્તુઓમાં મંગળસૂત્ર, ચેઇન-પેન્ડલ, સોનાની વીંટીઓ અને બુટ્ટીઓનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત 7.60 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ ઘટના અંગે ટિનાબેન ઠાકોરભાઈ ભીલે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પીઆઈ જી.આર. ગઢવી અને તેમની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઈ પુરાવા એકત્ર કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. ગામમાં ચોરીની આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે અને ગ્રામજનો તસ્કર ઝડપાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 5:07 pm

ગટરના તૂટેલા ઢાંકણાએ આધેડનો ભોગ લીધો, CCTV:સ્થાનિકોની ત્રણ ફરિયાદ બાદ પણ AMCએ ઢાંકણું બદલ્યું નહીં'ને અકસ્માત સર્જાયો

અમદાવાદમાં રસ્તાની ભૂગર્ભ ગટરના તૂટેલા ઢાંકણના કારણે અકસ્માત સર્જાતા એક નિર્દોષ વ્યકિતએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. શહેરના કુબેરનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું ઢાંકણ તૂટી ગયું હોય સ્થાનિકો દ્વારા AMCમાં ફરિયાદ કરવામાં આવી હતી. જો કે, આ ઢાંકણ બદલવામાં આવે તે પહેલા જ એક આધેડે જીવ ગુમાવવો પડ્યો છે. મોટર સાયકલ પર જઈ રહેલા આધેડનું વાહન સ્લીપ થતા જમીન પર પટકાયા હતા. ગંભીર ઈજા થવાના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું. અમદાવાદના કુબેરનગર વિસ્તારનો બનાવશહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા A વોર્ડના રોડ પરના ગટરના ઢાંકણાના ખાડાના કારણે આધેડનું મોત થયું છે. રાત્રિ દરમિયાન વાહન લઈને પસાર થતાં ખાડામાં વાહન પડતા તેઓ સ્લીપ થઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. સ્થાનિક નાગરિકો દ્વારા આ ખાડાને રીપેરીંગ કરવા માટે થઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ વખત ફરિયાદ કરી હોવા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં ન આવ્યું અને એક અઠવાડિયા બાદ ખાડાના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવતા સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ ફેલાયો છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ નિપજ્યુંમળતી માહિતી મુજબ શહેરના કુબેરનગર વિસ્તારમાં A વોર્ડમાં નંદલાલભાઈ અંબવાની તેમના પરિવાર સાથે રહે છે 26 નવેમ્બર 2025 ના રોજ નંદલાલભાઈ તેમનું વાહન લઈને A વોર્ડના રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ પર ગટરનું એક ઢાંકણું આવેલું છે જે ઢાંકણા પર ખાડો પડેલો હતો. રોડની વચ્ચેના ભાગે જે ખાડો હતો તેમને દેખાયો નહીં અને તેમનું વાહન ખાડામાં પડ્યું જેના કારણે તેઓ સ્લીપ થઈ ગયા હતા અને પટકાયા હતા. નંદલાલ ભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત થતાની સાથે જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બીજા દિવસે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. AMCને ફરિયાદ કરાયા બાદ પણ યોગ્ય કાર્યવાહી ન કર્યાનો આક્ષેપમૃતક નંદલાલભાઈના ભત્રીજાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના કાકા નંદલાલભાઈ રાત્રિના સમયે વાહન લઈને પસાર થતા હતા ત્યારે રોડની વચ્ચે જે ગટરનું ઢાંકણાનો ખાડો છે તેમાં પડ્યા હતા અને માથામાં બ્રેનહેમરેજ થઈ જતા સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. સ્થાનિક લોકોની સાથે અમે વાત કરી ત્યારે આ ખાડાને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ઓનલાઇન ફરિયાદ પણ કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમની ફરિયાદ નોંધવામાં આવી હતી અને તેનો ફરિયાદ નંબર આપવામાં આવ્યો હતો પરંતુ કામગીરી યોગ્ય કરવામાં આવી નહોતી જેના કારણે થઈ અને એક આધેડે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ કુબેરનગર A વોર્ડ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 70 :20:10 સ્કીમ અંતર્ગત રોડ બનાવવામાં આવ્યો હતો આ રોડ ટીપી રોડ અથવા તો સોસાયટી નો આંતરિક રોડ હોવાની માહિતી છે જોકે આ રોડ ઉપર ગટરનું ઢાંકણું તૂટી ગયું હોવા અંગેની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થાનિક નાગરિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પણ કોર્પોરેશનના ઉત્તર ઝોનના ઇજનેર વિભાગ દ્વારા કોઈપણ પગારના પગલાં લેવામાં આવ્યા નહીં. ઓનલાઇન ફરિયાદ કરવામાં આવી હતી તેમ છતાં પણ કેમ કાર્યવાહી ન થઈ તેને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. આ સમાચાર પણ વાંચોઃએક્ટિવાચાલક પર વૃક્ષની ડાળી પડતાં મોત, CCTV અમદાવાદ શહેરના નમસ્તે સર્કલ પાસે સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતમાં આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું છે. ખાનગી ટ્રાવેલ્સની ઓવરલોડ બસ જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે ઝાડ સાથે ટકરાતાં ડાળી તૂટી પડી હતી, જે પાછળ આવી રહેલા એક્ટિવાચાલક પર પડતાં ગંભીર ઈજા પહોંચતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક ખાનગી કંપનીમાં કો-ઓર્ડિનેટર તરીકે નોકરી કરતો હતો અને પરિવારમાં બહેનોનો એકનો એક ભાઈ હતો. યુવકના મોતના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. બહેને કહ્યું કે, મારો ભાઈ કહેતો કે હું પહેલા નોકરી લઈશ અને પછી જ લગ્ન કરીશ.​​​​​​​ (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 5:00 pm

'EWS નહીં મળે તો પાટીદારોના રાજકારણનો અંત આવી જશે':ભાજપ નેતા વરુણ પટેલના નિવેદન બાદ અલ્પેશ કથિરીયાએ પણ સમર્થન કર્યું, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં EWSની માગ

ભારતીય જનતા પાર્ટીના અગ્રણી પાટીદાર નેતા અને પાટીદાર અનામત આંદોલનના પૂર્વ નેતા વરુણ પટેલે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ગંભીર પોસ્ટ કરીને રાજકીય ક્ષેત્રે હલચલ મચાવી દીધી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં આક્રોશ વ્યક્ત કર્યો છે કે, જો પાટીદારોને 'આર્થિક રીતે નબળા વર્ગ (EWS)'નું અનામત વહેલી તકે લાગુ નહીં કરવામાં આવે, તો પાટીદારોના રાજકારણનો અંત આવી જશે. વરુણ પટેલના આ નિવેદનને સુરતના પાટીદાર અને ભાજપ નેતા અલ્પેશ કથીરિયાએ ખુલ્લું સમર્થન આપીને આ મુદ્દાને વધુ વેગ આપ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પહેલાં EWS લાગુ નહી થાય તો પાટીદારોનું રાજકીય પતન શરુવરુણ પટેલે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે, તાજેતરમાં મહેસાણાની દૂધસાગર ડેરીની યોજાયેલી ચૂંટણીમાં ડેરીના મતદારોના લિસ્ટ પ્રમાણે પાટીદારોના પ્રતિનિધિત્વ પર કાતર ફેરવવામાં આવી છે. આ સહકારી ક્ષેત્રે પાટીદારોનો રાજકીય રકાસ છે. તેમણે વધુ આક્રોશ સાથે ચેતવણી આપતા કહ્યું છે કે, જો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી સમયમાં યોજાનાર ચૂંટણીઓ પહેલાં EWS લાગુ કરવામાં નહીં આવે તો પાટીદારોના રાજકીય પતનની શરૂઆત થઈ જશે અને દૂરબિન લઈને જોશો તોય ક્યાંય નહીં દેખાય. વરુણ પટેલે ઉમેર્યું કે આવું દેખીતી રીતે રાજકીય અનબેલેન્સ સર્જાશે તો દરેક સમાજમાં આક્રોશ જોવા મળશે. તેમનો મુખ્ય સુર એ છે કે EWS અનામત તાત્કાલિક ધોરણે રાજકારણમાં પણ મળવું જોઈએ. વરુણ પટેલના આ નિસાસાને પાટીદાર નેતા અને ભાજપના અગ્રણી અલ્પેશ કથીરિયાએ સમર્થન આપ્યું છે. તેમણે વરુણ પટેલની વાતમાં સુર પુરાવતા જણાવ્યું કે, પાટીદારો સહિત અન્ય સમાજને પણ રાજકીય ક્ષેત્રે EWS અનામત મળવું જોઈએ. કથીરિયાએ પણ આ મામલે સક્રિયતા દર્શાવી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લાભ મેળવવા માટે EWS અનામતની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ભાજપના જ બે અગ્રણી નેતાઓની માગથી રાજ્યના રાજકારણમાં નવો વળાંક આવ્યોEWS અનામતના મુદ્દે રાજકીય ક્ષેત્રે ઉગ્ર માંગ ઉઠી રહી છે તે દરમિયાન આ મામલે હાઈકોર્ટમાં પીટીસન દાખલ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. પાટીદાર નેતાઓનું માનવું છે કે, કોર્ટના હસ્તક્ષેપ અથવા સરકારના ઝડપી નિર્ણયથી વહેલી તકે રાજકારણમાં આ અનામત લાગૂ થઈ શકે છે, જે ખાસ કરીને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સમાજને મોટો લાભ અપાવી શકે છે. સમગ્ર મામલો પાટીદાર સમાજના રાજકીય પ્રતિનિધિત્વની આસપાસ કેન્દ્રિત છે અને ભાજપના જ બે અગ્રણી નેતાઓ દ્વારા આ રીતે જાહેર પ્લેટફોર્મ પર માંગ ઉઠાવવામાં આવતા રાજ્યના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. 10% EWS હાલમાં શિક્ષણ અને રોજગારીમાં મળી રહ્યું છેઅલ્પેશ કથીરીયાએ જણાવ્યું હતું કે, હાલમાં વરુણભાઈએ જે બાબત મૂકી છે મીડિયા સમક્ષ એમાં બે બાબતોનો સમાવેશ છે. એક તો દૂધસાગર ડેરીની અંદર 21% થી પણ વધારે મતદારો હોય અને માત્ર બે ડિરેક્ટરનો સમાવેશ થયો છે અને સાથોસાથ ભવિષ્યની અંદર 10% EWS લાગુ નહીં થાય તો સમાજને નુકસાન થશે. સ્વાભાવિક છે કે 10% EWS હાલમાં શિક્ષણ અને રોજગારીમાં મળી રહ્યું છે ત્યારે ચૂંટણી પંચે EWS લાગુ એટલા માટે પાડવો જોઈએ કે જેનાથી 68થી પણ વધારે જ્ઞાતિનો એક EWSનો વર્ગ છે, એને એના અધિકાર પ્રાપ્ત થાય, લોકશાહીમાં સત્તાકીય ભાગીદારી નિભાવી શકે અને આ પર્વને એક રંગેચંગેથી ઉજવી શકે. દરેક વ્યક્તિને દરેક સમાજને પોતાનો હક પ્રાપ્ત થવો જોઈએવર્તમાનમાં જ્યારે સંપૂર્ણ જે અનામતની વ્યવસ્થા છે એ પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લાગુ પડે છે ત્યારે સાથોસાથ 10% EWSનો સમાવેશ થઈ જાય તો ભવિષ્યમાં કોઈપણ પ્રકારના ટેક્નિકલી કોઈ પણ પ્રશ્ન પણ ન સર્જાય અને દરેક વર્ગને પોતાનું પ્રતિનિધિત્વ મળી શકે. એ માટે ચૂંટણી પંચને પણ અમે રજૂઆતો કરી છે. હાઈકોર્ટમાં પણ દિનેશભાઈએ પિટિશન કરી છે અને ભવિષ્યમાં આ બાબતે સુખદ નિર્ણય આવે એવી અમે આશા રાખીએ છીએ. વરુણ પટેલને સંપૂર્ણ સમર્થન છે, કેમ કે આ જે મુદ્દો છે એ કોઈ વ્યક્તિનો, કોઈ સમૂહનો કે માત્ર ને માત્ર એક જ્ઞાતિ પૂરતો નથી. આખા EWS વર્ગને અસર કરતો મુદ્દો છે. દરેક વ્યક્તિને દરેક સમાજને પોતાનો હક પ્રાપ્ત થવો જોઈએ, એ માટે અમે પ્રયાસ કરતા રહીશું.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 4:51 pm

'રાજકારણમાં કોઈપણ પાર્ટીએ વંશવાદને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં':વડોદરામાં પૂર્વ રાષ્ટ્રપતિ અને ભાજપ નેતા વેંકૈયા નાયડુનું સૂચક નિવેદન, રાષ્ટ્રીય એક્તા યાત્રામાં હાજરી આપી

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કરમસદથી શરૂ થયેલી 'સરદાર @ 150 રાષ્ટ્રીય એકતા યાત્રા' આજે વડોદરા શહેરમાં આગળ વધી હતી અને અરવિંદો આશ્રમથી યાત્રાની શરૂઆત થઈ હતી અને ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા, કીર્તિ સ્તંભ, ભારતીય વિદ્યા ભવન, મકરપુરા બસ સ્ટેન્ડથી નિકળીને જાંબુવા બ્રિજ સ્થિત આઇડિયલ સ્કૂલ ખાતે પહોંચી હતી. આ યાત્રા દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા જોડાયા હતા. જાંબુવા બ્રિજથી યાત્રામાં દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને ભાજપના અગ્રણી નેતા વેંકૈયા નાયડુ જોડાયા હતા. વડોદરા શહેરમાં ઠેર ઠેર વિવિધ સમાજો, ધાર્મિક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આઇડિયલ સ્કૂલ ખાતે સરદાર સભા યોજાઈ હતી. જ્યાં વેંકૈયા નાયડુ અને મનસુખ માંડવીયાએ પદયાત્રીઓ અને હાજર લોકોને સંબોધન કર્યું હતું. 'આ યાત્રા રાજનીતિ નથી, દેશની એકતા માટે યાત્રા છે'દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને ભાજપના અગ્રણી નેતા વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, હું ભાષણ આપવા આવ્યો નથી, હું યાત્રા જોવા માટે આવ્યો છું. યાત્રા કેવી ચાલે છે. હું વર્ષ-1960માં અભ્યાસ કરતો હતો, ત્યારથી મારા નેશનલ લિડર સરદાર વલ્લભભાઇ પટેલ રહ્યાં છે. આજે પણ તેઓ મને પ્રેરણા આપી રહ્યા છે, તેઓએ દેશની એકતા માટે કામ કર્યું હતું. તેઓ આખા દેશને પ્રેરણા આપી રહ્યા છે. આજના કાર્યક્રમમાં ભાગ લેવો એ મારા માટે ગર્વ સમાન છે. આ યાત્રા રાજનીતિ નથી. આ યાત્રા દેશની એકતા માટે છે. જેથી હું આજે અહીં આવ્યો છું. આજે આ કાર્યક્રમમાં ભાગ લઇને ગર્વ અનુભવુ છું. 'ઇતિહાસના પુસ્તકોમાં સરદાર વલ્લભભાઇ પટેલ વિષે ખાસ લખાયું નથી'તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષો પહેલા ભારતને વિશ્વગુરુ કહેવાતું હતું. નાલંદા વિશ્વવિદ્યાલય વિશ્વનું શ્રૈષ્ઠ વિશ્વ વિદ્યાલય હતું. આવા ભારતને બ્રિટીશરોએ આપણા દેશને લૂંટી લીધો હતો અને આપણા દેશના લોકોના મન પર ઉપર અસર પાડી હતી. આપણા ઇતિહાસના પુસ્તકોમાં સરદાર વલ્લભભાઇ પટેલ વિષે ખાસ લખાયું નથી. એલેકઝાન્ડર ધ ગ્રેટ એવુ ઇતિહાસમાં લખાયુ છે. કોણ છે આ એલેકઝાન્ડર છે. શા માટે એનું નામ આપણા ઇતિહાસમાં છે. આપણા ઇતિહાસમાં શિવાજી, મહારાણા પ્રતાપ, ઝાંસીની રાણીની લક્ષ્મીબાઇ વિષે હોવું જોઇએ. હું આશા રાખુ છું કે, નરેન્દ્રભાઇ મોદીની સરકારના નેતૃત્વમાં આપણા પાઠ્ય પુસ્તકોમાં મહાન હસ્તીઓ વિષે લખશે. નવી એજ્યુકેશન પોલીસીનો અમલ આખા દેશમાં થવો જરૂરી છે. તેઓએ ઉમેર્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવ્યું, એ માટે હું નરેન્દ્ર મોદીને અભિનંદન આપુ છું. કોગ્રેસના જમાનામાં તેમના અને તેમના પરિવાર વિષે વધારે લખ્યું છે અને ઇન્સ્ટ્ટીટ્યુશનના નામ પણ તેમના પરિવારના નામ પરથી જ આપ્યા છે. દેશ માટે કામ કરનાર સરદાર વલ્લભભાઇ પટેલ અને સુભાષચંદ્ર બોઝ જેવા મહાનુભાવો માટે પુસ્તકોમાં લખાયું નથી. 'ભારતની પ્રગતિ ઘણા લોકો પચાવી શક્યા નથી'તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજકાલ વિશ્વમાં ભારતની ચર્ચા થઈ રહી છે. વિશ્વભરની મોટી મોટી કંપનીઓ ભારતનું યુવાધન પહોંચ્યું છે. આજે અમેરિકા અને ચાઇના બાદ ભારતની ચર્ચા બધે થઇ રહી છે. ભારતની પ્રગતિ ઘણા લોકો પચાવી શક્યા નથી. જેથી ભારત વિષે નેગેટીવ લખાઇ રહ્યું છે. આગામી વર્ષોમાં ભારત વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી ઇકોનોમી બની જશે. અમેરિકા, ચાઇના પછી ભારતનું નામ લેવાશે. 'રાજનીતિમાં કોઈપણ પાર્ટીએ વંશવાદને પ્રોત્સાહન આપવું ન જોઇએ'તેઓએ કહ્યું હતું કે, હું કોઇનું નામ લઇ રહ્યો નથી, પણ રાજનીતિમાં કોઈપણ પાર્ટીએ વંશવાદને પ્રોત્સાહન આપવું ન જોઇએ. પોતાની કેપેસીટી અને કેલિબરથી નેતાએ આગળ આવવું જોઇએ. જોકે કેટલાક નેતા નવું લાવ્યા છે. કેશ, ક્લેશ, કોમ્યુનિટી, ક્રિમિનાલિટીને પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. જે દેશ માટે આ સારુ નથી અને દેશ હિતમાં નથી. યોગ્ય નેતાને લોકસભામાં મોકલવા જોઇએ.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 4:50 pm

સિંહ સદનની નકલી વેબસાઈટ બનાવનાર નાસીર રાજસ્થાનથી ઝડપાયો:ઓનલાઈન બુકિંગના નામે પ્રવાસીઓ પાસેથી રૂપિયા ખંખેર્યા, જગન્નાથ મંદિર ટ્રસ્ટ ને શ્રીરામ આશ્રમની પણ વેબસાઈટ બનાવી

16 ઓક્ટોબરના રોજ સિંહ દર્શન કરવા આવતા પ્રવાસીઓ માટે સાસણ ગીર નેચર સફારી પાર્ક ખુલ્લું મુકાયું હતું. અહીં આવતા પ્રવાસીઓ ઉત્તમ રહેવા-જમવાની સુવિધા માટે ઓનલાઈન બુકિંગનો આગ્રહ રાખતા હોય છે. પરંતુ આ જ ઇચ્છાઓનો ગેરલાભ ઉઠાવીને નાસીર ખાન નામના શખસે સરકારી સિંહ સદન ગેસ્ટ હાઉસની આબેહૂબ દેખાતી નકલી વેબસાઈટ બનાવી હતી. સિંહ દર્શને આવતા પ્રવાસીઓ સાથે ઓનલાઈન સિંહ સદન ગેસ્ટ હાઉસના રૂમ બુકિંગના નામે હજારો રૂપિયાની રકમ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લઈ મોટાપાયે છેતરપિંડી આચરી હતી. પોલીસે આરોપી નાસીર ખાનને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, 7 નવેમ્બરના રોજ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારીએ મેંદરડા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. સિંહ સદનમાં રોકવા કોઇ ઓનલાઈન બુકિંગ સુવિધા ઉપલબ્ધ નથીજૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, સાસણમાં સફારી પાર્ક અને રેસ્ટ હાઉસ (સિંહ સદન)ની નકલી વેબસાઈટ બનાવી છેતરપિંડી કરી હોવાની મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. વન વિભાગના અધિકારીની ફરિયાદ નોંધાવ્યા મુજબ જે પ્રવાસીઓએ જંગલ સફારી કરવા સિંહ સદનમાં રોકાવા માટેની ઓનલાઈન ટિકિટ બુક કરાવી હોય અને તે રિસીપ્ટ વન વિભાગને બતાવતા અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે, સિંહ સદનમાં રોકવા માટે આવી કોઇ ઓનલાઈન બુકિંગ સુવિધા ઉપલબ્ધ નથી. વન વિભાગે કોઈ વેબસાઈટને ઓનલાઈન બુકિંગના અધિકાર આપ્યો નથીગત તારીખ 7 નવેમ્બર 2025ના સાસણ ગેસ્ટ હાઉસ ખાતે રેન્જ ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવતા યશ ભરતકુમાર ઉમરાણીયાએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સિંહ સદન ગેસ્ટ હાઉસમાં પ્રોટોકોલ મુજબ સરકારી મહેમાનોને વ્યવસ્થા અપાય છે. જ્યારે બિન-સરકારી પ્રવાસીઓને રિસેપ્શન પરથી કરન્ટ બુકિંગ દ્વારા રૂમ ફાળવવામાં આવે છે. સૌથી અગત્યની વાત એ છે કે, સિંહ સદન ગેસ્ટ હાઉસના રૂમ બુકિંગ માટે આજદિન સુધી કોઈ સત્તાવાર ઓનલાઈન વેબસાઈટ કાર્યરત નથી. અને ના તો વન વિભાગે કોઈ વેબસાઈટને ઓનલાઈન બુકિંગના અધિકાર આપ્યા છે. આરોપી નાસીર ખાનને પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યોમેંદરડા પોલીસ સ્ટેશનના પીઆઇ અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસના અંતે સિંહ સદન અને જંગલ સફારી પાર્કની નકલી બુકિંગ વેબસાઈટ બનાવનાર મુખ્ય આરોપી રાજસ્થાનના મેવાતમાં રહેતા નાસીર ખાન અયુબ ખાનને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ આરોપી પાસેથી બે મોબાઈલ ફોન કબજે કર્યા છે. પોલીસે આરોપીના રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરીહાલ ઝડપાયેલા આરોપીની પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી છે અને તેના રિમાન્ડની પણ માગણી કરવામાં આવી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે, આ ગુનામાં તેની મદદ અન્ય કોણે કરી છે. સિંહ સદન, જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને શ્રીરામ આશ્રમના નામની નકલી વેબસાઈટ બનાવીઆરોપી નાસીર ખાનની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આરોપીએ માત્ર સિંહ સદનની જ નહીં પણ જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને શ્રીરામ આશ્રમ નામની પણ અલગ અલગ વેબસાઈટ બનાવી હતી. ઠગ આરોપીએ અસલી જેવી દેખાતી બનાવટી વેબસાઈટો ઊભી કરી હતી. આ વેબસાઈટ પર સંપર્ક માટે વ્હોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ નંબર મૂકીને પોતે સરકારી સિંહ સદન ગેસ્ટ હાઉસનો કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી હતી. પ્રવાસીઓને ઓનલાઈન રૂમ બુકિંગના નામે છેતરીને હજારો રૂપિયાની રકમ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતો હતો. NPCRP પોર્ટલ પર આરોપી વિરૂદ્ધ 20થી વધુ ફરિયાદઉલ્લેખનીય છે કે, વન વિભાગને સહકર્મચારીઓ મારફતે આ નકલી વેબસાઈટ વિશે જાણકારી મળી હતી. બાદમાં અનેક પ્રવાસીઓ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની રજૂઆતો સાથે સામે આવ્યા હતા. અત્યાર સુધીમાં NPCRP પોર્ટલ પર આરોપી વિરૂદ્ધ 20થી વધુ ફરિયાદો નોંધાઈ છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે, તેઓ સિંહ સદનના રૂમ બુકિંગ માટે કોઈપણ ઓનલાઈન વેબસાઈટનો ઉપયોગ ન કરે અને માત્ર વન વિભાગના કાઉન્ટ પરથી જ કરન્ટ બુકિંગ કરાવે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 4:41 pm

સ્વચ્છ ભારત બ્રાન્ડ એમ્બેસેડર શિવઓમ મિશ્રાએ સાપુતારાની મુલાકાત લીધી:પર્યટન સ્થળોની સ્વચ્છતા જોઈ પ્રભાવિત થયા, માલેગામ સરપંચનું સન્માન કર્યું

સ્વચ્છ ભારત મિશનના રાષ્ટ્રીય બ્રાન્ડ એમ્બેસેડર શિવઓમ મિશ્રાએ ગુરુવારે ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા અને નજીકના માલેગામ ગામની મુલાકાત લીધી હતી. તેમણે અહીં ચાલી રહેલી સ્વચ્છતા કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી. સૌ પ્રથમ, મિશ્રાએ સાપુતારાના જાહેર શૌચાલયોની મુલાકાત લઈ સફાઈની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ તેમણે ટેબલ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ, પેરાગ્લાઈડિંગ પોઈન્ટ, બોટિંગ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતના પર્યટન સ્થળોએ સ્વચ્છતા વ્યવસ્થાની તપાસ કરી. મિશ્રા સાપુતારામાં વર્ષભર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવા છતાં જાળવાતી ઉચ્ચ સ્તરની સ્વચ્છતા જોઈને ખૂબ પ્રભાવિત થયા. તેમણે સાપુતારા નોટિફાઈડ એરિયા વહીવટીતંત્રની પ્રશંસા કરી અને આ પર્યટન સ્થળને દેશના અન્ય ટૂરિસ્ટ સ્પોટ્સ માટે આદર્શ ગણાવ્યું. આ મુલાકાત બાદ તેમણે માલેગામ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી. ગામને સ્વચ્છ રાખવા બદલ સરપંચનું સન્માન કરવામાં આવ્યું. સરપંચે જણાવ્યું કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) હેઠળની કામગીરી મોટા ભાગે પૂર્ણ થઈ ગઈ છે, જેના બદલ બી.એલ.ઓ. સહિતની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા. શિવઓમ મિશ્રાની આ મુલાકાતથી સ્થાનિક વહીવટી તંત્ર અને નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે વધુ જાગૃતિ અને પ્રેરણા ફેલાઈ છે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 4:40 pm

15 મહિનાના બાળકને જન્મથી જ અન્નનળી નહોતી:અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા ગેસ્ટ્રિક પુલ-અપની સફળ સર્જરી, હવે મોઢેથી ખોરાક લઈ શકશે

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 15 મહિનાનો બાળક જન્મથી જ મોઢેથી ખાઈ શકતો નહોતો. તેની ફૂડ પાઇપ એટલે કે અન્નનળી બનેલી જ નહોતી, તેથી તેને ટ્યુબ વડે ભોજન આપવું પડતું. મહારાષ્ટ્રના રહેવાસી માતા અને પિતાના દીકરાને જન્મના થોડા સમય પછી જ ગળામાં નાનું કાણું કરીને સ્લાઈવા બહાર નીકળે તે માટે સારવાર કરાઈ હતી. સાથે જ પેટની હોજરીમાં ટ્યુબ મુકીને તેને ખવડાવવામાં આવતું. આવી સમસ્યા બહુ ભાગ્યે જ હોય છે અને 4,000 બાળકોમાંથી માત્ર એકમાં જોવા મળે છે. ‘ગેસ્ટ્રિક પુલ-અપ’ સર્જરી- પેટનો એક ભાગ ખેંચીને નવી અન્નનળી બનાવાયબાળકના માતા-પિતાએ પ્રાઇવેટ હોસ્પિટલોમાં પૂછપરછ કરી તો સર્જરીનો ખર્ચ લગભગ 8 લાખ રૂપિયા જણાવાયો હતો. બાદમાં તેમને ખબર પડી કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવી સર્જરી થાય છે. તેથી તેઓએ અહીં જ સારવાર કરાવવાનો નિર્ણય લીધો. ગઈકાલે એટલે કે 29 ઓક્ટોબરના રોજ ડૉ. રાકેશ જોષી અને ડૉ. નમ્રતા શાહની ટીમે બાળક પર ‘ગેસ્ટ્રિક પુલ-અપ’ નામની મોટી સર્જરી કરી. આ સર્જરીમાં પેટનો એક ભાગ ખેંચીને નવી અન્નનળી બનાવવામાં આવે છે, જેથી બાળક મોઢેથી ખાઈ શકે. બાળકે પહેલીવાર મોઢેથી ખોરાક લેવાનું શરૂ કર્યુંસર્જરી ખુબ જ સફળ રહી અને બાળકે પહેલીવાર મોઢેથી ખોરાક લેવાનું શરૂ કર્યું. પોતાના બાળકને મોઢેથી ખાતાં જોઈને માતા–પિતા ખુશીથી ભાવુક થઈ ગયા હતા. બાળકની તબિયત હવે સારી છે અને તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 4:20 pm

રોંગ સાઇડ આવતા SITCO કંપનીના પિકઅપને અપાયો મેમો:સુરત ટ્રાફિક ડીસીપીના ધ્યાને આવતા કાર્યવાહી, ચાલકને પૂછ્યું તો કહ્યું મારા સાહેબ પણ આ સાઇડથી જ આવે છે

સુરત રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ નું કામ ચાલી રહ્યું હોવાથી રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં બેરીકેટ મારીને કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે આ રીડેવલપમેન્ટનું કામ કરતી કંપની SITCOના વાહનો પણ રોંગ સાઈડમાં ચલાવતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. દરમિયાન ટ્રાફિક ડીસીપી આ અંગે નિરીક્ષણ કરી રહ્યા હતા તે દરમિયાન જ એક પીકઅપ ટેમ્પોનો ચાલક રોંગ સાઈડમાં આવ્યો હતો. જેથી તેને 3000નો મેમો ફટકારવામાં આવ્યો હતો. જ્યારે આ ટેમ્પો ચાલકને પૂછવામાં આવ્યું તો તેને જણાવ્યું હતું કે, મારા સાહેબ પણ આ સાઇડથી જ આવે છે. રોંગસાઈડમાં આવતી બોલેરોને અટકાવી દંડની વસૂલાત કરાઈશહેર પોલીસ ટ્રાફિકમાં પણ અવલ નંબર પર રહે એ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે શહેર ટ્રાફિક પોલીસ રોંગ સાઈડ ઓવર સ્પીડ, ત્રણ સીટ, હેલ્મેટ વગર અને આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલક પર પગલાં ભરવાના શરૂ કર્યા બાદ શહેરના વિકાસલક્ષી કાર્યમાં અલગ અલગ કંપનીના વાહનો રોંગ સાઈડ પોતાના વાહન ચલાવતા હોય છે. જેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે ત્યારે વરાછાના પોદાર પાસે SITCOની કંપનીની બોલેરો ગાડી રોંગ સાઈડમાં આવતી હતી ત્યારે સુરત શહેરના કંટ્રોલ રૂમના ડીસીપી એએમ પરમારે અટકાવીને રોંગ સાઈડનો મેમો આપીને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. રેલવે સ્ટેશનનું કામ કરી રહેલી એજન્સીના જ વાહનો રોંગ સાઈડમાં દોડતા હોય કાર્યવાહીરેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પાસે ચાલતા કામને લઈને ખાંડ બજારના ગંરનાળા પાસેથી પોદાર સુધી રોંગ સાઈડમાં વાહનો આવતા હોય છે. જેને લઈને વરાછાથી સ્ટેશન તરફ જવાનો રસ્તો પણ ટ્રાફિક જામ થતો હોય છે. આ દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા આ અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યારે ટ્રાફિક ડીસીપી એએમ પરમાર પર હાજર રહ્યા હતા. દરમિયાન રેલવે રિ ડેવલપમેન્ટના કામગીરી સાથે સંકળાયેલી SITCO કંપનીનો પીકપ ટેમ્પો ચાલક આવ્યો હતો. 'મારા સાહેબ પણ નીકળે છે એટલે હું પણ નીકળ્યો...'ટેમ્પો ચાલકને રોંગમાં આવતો હોવાથી અટકાવવામાં આવ્યો હતો અને ટ્રાફિક ડીસીપીએ આ અંગે પૂછપરછ પણ કરી હતી. જણાવ્યું હતું કે મારા સાહેબ પણ આ સાઇડથી જ રોજ આવે છે. SITCO કંપનીના પીકપ ટેમ્પો ચાલકને રોંગમાં આવતો હોવાથી 3000 રૂપિયાનો મેમો આપવામાં આવ્યો હતો. ટ્રેનના સમયે પણ આવું જ જોવા મળતું હોય છે જો રેલવે સ્ટેશનના સત્તાધિશો દ્વારા રેલવે કોલોનીના અંદરના રસ્તા પર જે લંબે હનુમાન ચોકી અને પોદાર વચ્ચે રસ્તો મળે છે તે રસ્તાનો ઉપયોગ કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા ઉકેલ આવી શકે છે જેથી કરીને સિનિયર સિટીઝન ને રાહત મળી શકે છે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 4:02 pm

સાયબર ક્રાઈમ-બેટિંગ માટે 1500માં સીમકાર્ડ આપનાર ઝડપાયો:બે વર્ષમાં ગુજરાતમાંથી 1000થી વધુ સિમકાર્ડ દુબઈ પહોંચાડ્યા, આંતરરાષ્ટ્રીય સિમકાર્ડ કૌભાંડનો પર્દાફાશ

અમદાવાદમાં થોડાક દિવસ પહેલાં એક સિનિયર સિટીઝન સાથે થયેલા રૂપિયા 25 લાખના ડિજિટલ અરેસ્ટ ફ્રોડની તપાસમાં પોલીસે એક મોટા આંતરરાષ્ટ્રીય સિમકાર્ડ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેણે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી 1000થી વધુ સિમકાર્ડ ગેરકાયદેસર રીતે દુબઈ સ્થિત કોલ સેન્ટરોમાં મોકલ્યા હોવાનું સામે આવ્યું છે. 'ટેકનિકલ એરર'નું બહાનું આપી સિમકાર્ડ દુબઈ મોકલી દીધુંથોડાક દિવસ પહેલાં અમદાવાદમાં એક સિનિયર સિટીઝન સાથે રૂપિયા 25 લાખના ડિજિટલ અરેસ્ટ ફ્રોડ થયું હતું. આ ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા વ્હોટ્સએપ નંબરની કોલ ડિટેલ માટે SDR મંગાવતા તે અમદાવાદના એક વ્યક્તિના નામે નોંધાયેલું હોવાનું જણાયું હતું. જે ગ્રાહકના નામે સિમકાર્ડ હતું, તેમણે પોલીસને જણાવ્યું કે, તેઓ તેમના પિતાનું સિમકાર્ડ પોતાના નામે ટ્રાન્સફર કરાવવા માટે એરટેલ એજન્ટ પાસે ગયા હતા. એજન્ટે ટ્રાન્સફરના બહાને તેમના બાયોમેટ્રિક્સ અને દસ્તાવેજો મેળવ્યા હતા, પરંતુ પછી 'ટેકનિકલ એરર'નું બહાનું આપી ટ્રાન્સફર ન થઈ શક્યું હોવાનું જણાવ્યું હતું. આમ જાણવા મળ્યું હતું કે, ગ્રાહકની જાણ બહાર આ સિમકાર્ડ ઇશ્યૂ કરીને તેને દુબઈ મોકલી દેવામાં આવ્યું હતું, જેનો ઉપયોગ સાઇબર ક્રાઇમ અને ગેરકાયદેસર બેટિંગ કોલ સેન્ટરોમાં થતો હતો. કંબોડિયાના કોલ સેન્ટરોમાં એરટેલના સિમકાર્ડની ડિમાન્ડ વધુઆ મામલે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરીને તપાસ શરૂ કરાઈ હતી. જેમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં મુખ્ય ભૂમિકા વિજય રાવળની હતી, જે પોતે એરટેલનો એજન્ટ અને મુખ્ય ડિસ્ટ્રીબ્યુટર હતો. તે ગ્રાહકોના નામે ગેરકાયદેસર રીતે સિમકાર્ડ ઇશ્યૂ કરતો હતો. આ સિમકાર્ડ મોટેભાગે એરટેલના હતા, કારણ કે કંબોડિયાના કોલ સેન્ટરોમાં તેની ડિમાન્ડ વધુ હતી. શુભમ પરાડિયા અને કિરણ ઠક્કર ઇશ્યૂ થયેલા આ સિમકાર્ડ એકત્રિત કરીને તેમને દુબઈ મોકલવામાં મદદ કરતા હતા. ચોથો આરોપી દુબઈમાં બે વર્ષથી બેટિંગ કોલ સેન્ટરોમાં કામ કરતોઆ ત્રણેયે મળીને બે વર્ષમાં લગભગ 1000 જેટલા સિમકાર્ડ દુબઈ મોકલ્યા હતા, જેનો ઉપયોગ 'ડિજિટલ અરેસ્ટ' જેવા સાઇબર ક્રાઇમ અને કમ્બોડિયાના કોલ સેન્ટરોમાં થતો હતો. આ કેસમાં ચોથો પકડાયેલો આરોપી કુલદીપ જોશી છે, જે દુબઈમાં બે વર્ષથી બેટિંગ કોલ સેન્ટરોમાં કામ કરતો હતો અને તેને મહિને 20,000થી 25,000 રૂપિયાનો પગાર મળતો હતો. કુલદીપ જ્યારે પણ ગુજરાત આવતો, ત્યારે તે શુભમ અને કિરણ પાસેથી સિમકાર્ડ મેળવીને દુબઈ પહોંચાડવાનું કામ કરતો હતો. ભારતમાં સિમકાર્ડ ઇશ્યૂ કરનારાઓને પ્રતિ સિમ 1500 ચૂકવતાતપાસમાં જાણવા મળ્યું છે કે, દુબઈમાં બે મુખ્ય આરોપીઓ ભાવેશ જોશી ઉર્ફે લાદેન અને કનુ વારાહી આ સિમકાર્ડ રિસીવ કરતા હતા અને કોલ સેન્ટરોમાં તેનો ઉપયોગ કરાવતા હતા. ભાવેશ જોશી અને કનુ વારાહી દુબઈમાં તેમની સાથે કામ કરતા લોકોને જ્યારે તેઓ ભારત આવે ત્યારે સિમકાર્ડ કલેક્ટ કરવાની જવાબદારી સોંપતા હતા. દુબઈના આરોપીઓ ભારતમાં સિમકાર્ડ ઇશ્યૂ કરનારાઓને પ્રતિ સિમ રૂપિયા 1500 ચૂકવતા હતા. ભારતના આરોપીઓ પોતાનું કમિશન કાપીને, જે ગ્રાહકોને જાણ કરી સિમ કઢાવવામાં આવતા તેમને 500થી 700 રૂપિયા આપતા હતા. સિમકાર્ડ ઇશ્યૂ કરવા માટે તેઓ કન્સ્ટ્રક્શનના મજૂરો અથવા અન્ય ગ્રાહકોને ટાસ્ક પૂરો કરવાના બહાને શોધીને તેમના નામે સિમકાર્ડ કઢાવતા હતા. કેટલાક કિસ્સાઓમાં ગ્રાહકોની જાણ બહાર પણ સિમકાર્ડ ઇશ્યૂ કરાયા હતા. ગુજરાતમાંથી કુલ 1000 જેટલા સિમકાર્ડ દુબઈ પહોંચાડ્યા હતાપ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, 2023 અને 2024 દરમિયાન આ આરોપીઓએ ગુજરાતમાંથી કુલ 1000 જેટલા સિમકાર્ડ દુબઈ પહોંચાડ્યા છે. આ સિમકાર્ડ્સનો ઉપયોગ દુબઈમાં ચાલતા ગેરકાયદેસર બેટિંગ, ગેમિંગ કોલ સેન્ટરો અને ડિજિટલ અરેસ્ટ માટે થતા હતા. મહત્ત્વનું છે કે, પોલીસે ભાવેશ જોશી ઉર્ફે લાદેન અને કનુ વારાહી સહિત અન્ય સંડોવાયેલા લોકોની ધરપકડ માટે વધુ તપાસ હાથ ધરી છે. સાયબર ક્રાઈમના એસીપી હાર્દિક માકડિયાએ લોકોને અપીલ કરી છે કે, તમે તમારા નામે કોઈ સીમકાર્ડ ઇશ્યૂ થયું છે કે કેમ તેની તપાસ TAFCOP નામની વેબસાઇટ પર ચેક કરી શકો છો. દરેક લોકોએ એકવાર ચેક કરવું જોઈએ, ચેક કર્યા બાદ તમારી જાણ બહાર કોઈ સીમ ઇશ્યૂ કરવામાં આવ્યું હોય તો રિપોર્ટ કરી પોલીસને જાણ કરવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 3:58 pm

અમદાવાદ એરપોર્ટની અનેક ફ્લાઇટ્સ આજે પણ ડીલે:બપોર 3 વાગ્યા સુધીમાં 9 ફ્લાઇટને અસર, આવતી-જતી ફલાઈટો એક કલાકથી વધુ ડીલે

અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગો દ્વારા ચલાવતી અનેક Airbus A320 ફ્લાઇટ્સના સોફ્ટવેર અપડેટ અને ટેકનિકલ તપાસને કારણે, ઇથોપિયાના જવાળામુખીની રાખ અને શિયાળાના હવામાનને કારણે અનેક ફ્લાઇટ ડીલે થઈ રહી છે. અમદાવાદ આવતી નવ ફ્લાઈટ બપોરના બે વાગ્યા સુધી એક કલાકથી વધુ સમય ડીલે થઈ હતી. અમદાવાદ આવતી ફ્લાઈટમાં ડીલે થતાં રોટેશનલ ફ્લાઈટ એટલે કે અમદાવાદથી જતી ફ્લાઈટ્સમાં પણ ડીલે જોવા મળ્યું હતું. આ ફલાઈટો એક કલાકથી વધુ ડીલે થઈસ્માર્ટવિંગ્સની દિલ્હીથી આવતી SG 8193 ફ્લાઇટ 2 કલાક મોડી પડી હતી. બેંગકોકની THAI ની ફ્લાઇટ નંબર TG 343 1 કલાક જેટલી મોડી પડી હતી. મુંબઈથી અમદાવાદ આવતી ઈન્ડીગોની ફ્લાઈટ નંબર 6E 5189 બે કલાક જેટલી મોડી પડી હતી. કુવૈત સિટીની ફ્લાઇટ નંબર KU 345 1 કલાક જેટલી મોડી પડી હતી. મુંબઈથી આવતી ઈન્ડિગોની ફ્લાઇટ નંબર 6E 5251 દોઢ કલાક જેટલી મોડી પડી હતી. જેદ્દાહની ઈન્ડિગોની ફ્લાઇટ નંબર 6E 76 2 કલાક જેટલી મોડી પડી હતી. દિલ્હીની બ્લ્યુ ડાર્ટની ફ્લાઇટ નંબર BZ 481 એક કલાક જેટલી મોડી પડી હતી. પૂર્ણિયાની સ્ટારએરની ફ્લાઇટ નંબર S5619 એક કલાક જેટલી મોડી પડી હતી. અને હૈદરાબાદની 6E 6593ની ઈન્ડિગોની ફ્લાઇટ પણ 1 કલાક જેટલી મોડી પડી હતી. એરપોર્ટ પર આવતી અને જતી બંને ફલાઈટને અસરકોઈ ફ્લાઈટ અમદાવાદ આવી રહી છે અને ત્યારબાદ અમદાવાદથી અન્ય કોઈ સ્થળ પર જઈ રહી છે તેવા કિસ્સામાં અમદાવાદ આવતી ફ્લાઇટ જો ડીલે થાય તો અમદાવાદથી જતી ફ્લાઈટમાં પણ ડીલે જોવા મળતું હોય છે. જેથી ફ્લાઈટમાં આવતી અને જતી દરેક ફ્લાઈટ પર તેની અસર જોવા મળતી હોય છે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 3:47 pm

વીડિયો જોતાં જ બોલી ઉઠશો-'કચ્છ નહીં દેખા તો કુછ નહીં:એક લાખથી વધુ 'ફ્લેમિંગો' પક્ષીઓનો અદભૂત DRONE VIDEO; પ્રવાસીઓ સ્પેશિયલ આ નજારો માણવા રોકાય છે

કચ્છના રણ પ્રદેશમાં શિયાળા દરમિયાન લાખો સુરખાબ (ફ્લેમિંગો)પક્ષીઓનું આગમન થાય છે. આ પક્ષીઓ 'લાખેણા જાની' તરીકે પણ ઓળખાય છે. હાલમાં રાપર તાલુકાના કુડા પાસેના મોટા રણમાં એક લાખથી વધુ ફ્લેમિંગો જોવા મળી રહ્યા છે. ખડીરના અમરાપરથી લોદ્રાણી તરફ જતા 'સેકન્ડ રોડ ટુ હેવન' માર્ગ વચ્ચે તેમનો જમાવડો જોવા મળે છે. આગામી સમયમાં તેમની સંખ્યા ત્રણ લાખને પાર કરી જવાની શક્યતા છે. જુઓ સુરખાબ પક્ષીઓનો અદભૂત નજારો... આ નજારો માણવા માટે પ્રવાસીઓ સ્પેશિયલ રોકાય છેખડીરથી સાંતલપુર તરફના રન ટુ હેવન જેવા માર્ગ નજીકના રણ વિસ્તારમાં સુરખાબની વસાહત જોવા મળી રહી છે. પોતાની જન્મભૂમિ પર શિયાળો માણી ઉનાળા દરમિયાન દેશ-વિદેશમાં ફેલાઈ જતા આ પક્ષીઓ ખડીર બેટના અમરાપરથી લોદ્રાણી જાગીર વચ્ચેના વિસ્તારમાં શોભી રહ્યા છે. હાલમાં લગભગ સવા લાખ જેટલા સુરખાબ અને કુંજ પક્ષીઓની હાજરી નોંધાઈ છે. અહીંથી પસાર થતા પ્રવાસીઓ આ નયનરમ્ય નજારો માણવા માટે ઘડીભર રોકાઈ જતા હોવાનું પ્રવાસી સતાજી સમાંએ જણાવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં કચ્છમાં સુરખાબની હાજરીમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. પક્ષીઓની સંખ્યામાં પ્રતિવર્ષ વૃદ્ધિ નોંધાઈ રહી છેપૂર્વ કચ્છ વન વિભાગના મુખ્ય અધિકારી આયુષ વર્માએ જણાવ્યું હતું કે, કચ્છના નાના અને મોટા રણનો વિસ્તાર ગ્રેટર અને લેસર ફ્લેમિંગો માટે વિશેષ સ્થાન ધરાવે છે. તેમની સંખ્યામાં પ્રતિવર્ષ વૃદ્ધિ નોંધાઈ રહી છે, જેના માટે વન વિભાગ દ્વારા ખાસ પહેલ કરવામાં આવી છે. કચ્છનો આ વિસ્તાર સેન્ટ્રલ એશિયન ફ્લાય વેનો ભાગ છે, જે સ્થળાંતરિત પક્ષીઓ માટે એક મહત્વપૂર્ણ માર્ગ અને રોકાણ સ્થળ છે. કચ્છનું મોટું રણ તેમજ અમુક અંશે નાનું રણ પણ વન વિભાગના સેન્ચુરી વિસ્તારમાં આવે છે. તેમના રૂટના રોકાણ સ્થળોએ વન વિભાગ દ્વારા 2019થી ખાસ પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત સુરખાબ પક્ષીઓના મોટા પ્રજનન માટે રણમાં ખાસ સી આકારના ડેઝર્ટ પોઈન્ટ અને લીનીયર પ્લેટફોર્મ (માટીના પાળા) ઊભા કરવામાં આવ્યા છે. બંને પ્રકારના સુરખાબ પક્ષીઓ કચ્છના રણમાં પ્રજનન કરતા આવ્યા છે. તેમના આકાશી વિચરણમાં કચ્છના રણ વિસ્તારના માર્ગો સમાવિષ્ટ છે. ત્યારે તેમના પડાવ દરમિયાન પક્ષીઓ માટેના અનુરૂપ બનાવાયેલા આ પ્લેટફોર્મ ફાયદો આપે છે. આ પ્લેટફોર્મના કારણે તેમના પાળાનું ધોવાણ ખૂબ ઘટી ગયું છે, જેમાં સુરખાબના પક્ષીઓના ઇંડાઓ સલામત રહે છે અને નવા પક્ષીઓના જન્મની પ્રક્રિયામાં વધારો થયો છે. સુરખાબની સંખ્યા એક લાખથી વધી 4 લાખ સુધી પહોંચીઆ વિસ્તારમાં આજથી પાંચ વર્ષ પહેલાં લગભગ એકથી સવા લાખ સુરખાબ નોંધવામાં આવતા તે આંકડો ગત વર્ષે 3 થી 4 લાખ સુધી પહોંચ્યો હતો. જે આ વર્ષે પણ નોંધાય તેવી પુરી સાંભવના છે. સુરખાબ અને દરેક વન્ય પ્રાણીઓની સલામતી માટે ખાસ તકેદારી લેવામાં આવતી રહે છે. આ વિસ્તારના વન કર્મીઓ દ્વારા અધિકારીઓની રાહબરી હેઠળ સતત પેટ્રોલીંગ પણ કરવામાં આવતું રહે છે. સુરખાબની વિશેષતાઓ

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 3:21 pm

ઝાલોદના ચિત્રોડીયા ગામે 8 ફૂટના અજગરનું રેસ્ક્યુ:વનવિભાગે સફળતાપૂર્વક પકડી જંગલમાં સુરક્ષિત છોડ્યો

ઝાલોદ તાલુકાના ચિત્રોડીયા ગામે એક રહેણાક મકાન નજીક આશરે 7 થી 8 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો. જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં દહેશત ફેલાઈ હતી. ગ્રામજનોએ તાત્કાલિક ઝાલોદ નોર્મલ રેન્જના ફોરેસ્ટર રાજેન્દ્ર ડામોરને જાણ કરી હતી. માહિતી મળતા જ ફોરેસ્ટર રાજેન્દ્ર ડામોર તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વનવિભાગની ટીમે અત્યંત સાવચેતીપૂર્વક અજગરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો. રેસ્ક્યુ કર્યા બાદ, અજગરને માનવ વસવાટથી દૂર જંગલના સુરક્ષિત વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો, જ્યાં કોઈ માનવીય હસ્તક્ષેપ ન હોય. ઝાલોદ વનવિભાગની નોર્મલ રેન્જ રાજસ્થાન અને મધ્યપ્રદેશને અડીને આવેલા જંગલ વિસ્તારમાં વન્યજીવોના વારંવાર બહાર આવવાની ઘટનાઓ પર સતત નજર રાખે છે. ફોરેસ્ટર રાજેન્દ્ર ડામોરે જણાવ્યું હતું કે, આવી વિગતો મળતાં જ ટીમ તરત કાર્યવાહી કરે છે અને માનવ-વન્યજીવ સંઘર્ષ ટાળવા માટે હંમેશાં તત્પર રહે છે. વનવિભાગ ગ્રામ્ય અને જંગલ વિસ્તારોમાં રહેતા લોકોને વન્યજીવોથી થતા નુકસાન કે તકલીફથી બચાવવા માટે આવી કામગીરી હાથ ધરે છે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 3:17 pm

LCBએ તલોદની કેબલ ચોરીની ત્રિપુટીને ઝડપી પાડી:ચિલોડા હાઇ-વે પર ₹12,500ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ, માણસા-ગાંભોઇના 4 ગુનાનો ભેદ ઉકેલાયો

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બોર કુવા ઉપરથી કેબલ ચોરીના વધતા બનાવોના પગલે લોકલ ક્રાઈમ બ્રાંચે સઘન પેટ્રોલિંગ હાથ ધરી પૂર્વ બાતમીના આધારે કેબલ ચોરીના ગુનાને અંજામ આપનાર તલોદની ત્રણ જણની ગેંગને આબાદ રીતે 12 હજારથી વધુના મુદ્દામાલ સાથે દબોચી લઈ ચાર ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. બાતમીના આધારે LCBની ટીમે ત્રણ આરોપીઓને દબોચી લીધાગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બોર કુવા ઉપરથી કેબલ ચોરીના બનાવો એ માઝા મૂકી દેતા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ લોકલ ક્રાઈમ બ્રાંચને ખાસ સૂચનાઓ આપવામાં આવેલી છે. જે અન્વયે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે.જે. ગઢવી સહિતની ટીમે ગ્રામ્ય વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરી બાતમીદારોને એક્ટિવ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ત્રણ ઈસમો કેબલ ચોરીનો મુદ્દામાલ વેચવા માટે ચિલોડાથી અમદાવાદ હાઇ-વે તરફ પાલજ જવાના રોડ પર આવેલ જમ્બેશ્વર હોટલ નજીક ભંગારના વાડામાં આવવાના છે. જે બાતમીના પગલે LCBની ટીમે ભંગારના વાડા સહિત આસપાસ વોચ ગોઠવી દેવાઈ હતી. અને ત્રણ ઈસમોને શકમંદ હાલતમાં દબોચી લીધા હતા. જેઓની કડકાઈથી પૂછતાછ હાથ ધરતા તેમણે પોતાના નામ જીગર કિરણસિંહ ચૌહાણ (ઉ.વ. 30),રાહુલ કુંવરજી મકવાણા (ઉ.વ. ,27) અને અજયભાઈ ઉર્ફે બાબુ પરમાર (ઉ.વ.21, તમામ રહે. કાબોદરા, તા. તલોદ) હોવાનું જણાવ્યું હતું. જેમની પાસેથી પાસેથી ચોરી કરેલા કેબલનો કોપર વાયર, મોબાઈલ ફોન અને અન્ય સાધનો મળીને કુલ રૂ.12,500નો મુદ્દામાલ મળી આવ્યો હતો. કોપરના વાયરની ચોરી કરીને ભંગારમાં વેચવાનો પ્લાન હતોઆ અંગે LCBએ જણાવ્યું કે, આરોપીઓની પૂછપરછમાં માણસા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ત્રણ અલગ-અલગ કેબલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ ઉપરાંત આરોપીઓએ હિંમતનગર તાલુકાના નાદરી ગામની સીમમાં પણ મોટરનો કેબલ ચોરી કર્યાની કબૂલાત કરી છે. જે ગુનો ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો હતો.આ કોપરના વાયરની ચોરી કરીને ભંગારમાં વેચી મારવાનો ત્રણેયનો પ્લાન હતો. જે પહેલા જ ત્રણેયને ઝડપી લઇ ચાર ગુનાનો ભેદ ઉકેલી દેવાયો છે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 3:12 pm

'એક ઇંચ પણ જમીન વન વિભાગને આપવી નથી':ગીર નજીક ગુંદાળા સહિત 3 ગામની ગૌચર જમીન મામલે ખેડૂતોનો વિરોધ; જંગલ ખાતું 'જડ' હોવાનો આક્ષેપ

જૂનાગઢ જિલ્લાના મેંદરડાથી સાસણ તરફ જતો રસ્તો જે સ્ટેટ હાઈવે (SH-26) પરના 3 કિલોમીટરના જંગલ પટ્ટાને 7 મીટર પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ ગીર સિંહ દર્શનના માર્ગ તરીકે મહત્ત્વપૂર્ણ ગણાવી આ પ્રોજેક્ટને આગળ વધારવામાં આવ્યો છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગના ઇજનેર એચ. આર. સાવલિયાએ માહિતી આપી હતી કે, રસ્તાને પહોળો કરવા માટે વન વિભાગ પાસેથી જરૂરી જમીન મેળવવાની ઓનલાઈન દરખાસ્ત 'પરિવેશ પોર્ટલ' પર સબમિટ કરવામાં આવી હતી. વન વિભાગે આ દરખાસ્તને અમુક નિયમો અને શરતોને આધીન સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે, જેને લઇ માર્ગ અને મકાન વિભાગે આશરે 2.28 હેક્ટર જેટલી રેવન્યુ જમીન વન વિભાગને 'વળતર વનીકરણ' માટે તબદીલ કરવાની છે, જે તેજા ડિમ્બી ઘાર નજીકની જમીન છે. આ જમીન ગૌચરની હોવાથી ગુંદાળા, ઝીંઝુડા અને નતાડીયા ગામના લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો કહી રહ્યા છે કે, જંગલ ખાતું જડ છે અને તેઓ એક ઇંચ પણ જમીન જંગલ ખાતાને આપશે નહીં. ગૌચર જમીન અભયારણ્ય માટે નહિ, ગાયો માટે છેઃ પરેશભાઈગુંદાળા ગામના પરેશભાઈ કાચાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આ જમીન તેમની ગૌચરની છે અને તેને અભ્યારણ્ય માટે વન વિભાગને આપી દેવાની વાત છે, પરંતુ એક ઇંચ પણ જમીન વન વિભાગને આપવાની થતી નથી. જો આ મામલે આગળની કાર્યવાહી કરવી પડશે તો તેઓ અને ઝીંઝુડા ગામના લોકો સાથે મળીને કરશે. તેમણે ગૌચરનું મહત્ત્વ સમજાવતા કહ્યું કે, તેમના ગામનું ગૌચર 908 વીઘા જેટલું છે, જ્યાં ગૌશાળાની 100થી વધુ ગાયો અને ગામના અન્ય માલઢોર મળીને 240થી વધુ પશુઓ કાયમ માટે ચરાવવા આવે છે. જો આ જમીન વન વિભાગને આપવામાં આવે તો તેમના માલઢોર દુઃખી થઈ જાય તેમ છે. વન વિભાગે આ જમીન અભ્યારણ્ય માટે વાપરવાની વાત કરી છે, જેના પર તેમણે સવાલ કર્યો કે જો આ જમીન વન વિભાગને આપવામાં આવે તો શું ગામ લોકોએ ગામ મૂકીને જતું રહેવાનું? ઉપસરપંચે સર્વે સામે વિરોધ નોંધાવ્યોગુંદાળા ગામના ઉપસરપંચ ગોબરભાઈ ચોથાણીએ પણ આ મામલે પોતાનો સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમના ગુંદાળા ગામની ગૌચરની જમીન એક ઇંચ પણ વન વિભાગને આપવા માંગતા નથી. વન વિભાગ દ્વારા તેની રીતે સર્વે કરાવીને કલેક્ટર મારફતે આ ગૌચરની જમીન અભયારણ્ય માટે વન વિભાગને આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ જમીનનો આખા ગામનો વિરોધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો આ જમીન વન વિભાગને આપી દેવામાં આવે તો તેઓ તેમના માલ-ઢોર ક્યાં ચરાવવા જશે. ગૌચરની જમીન ધરારથી અપાશે તો સત્યાગ્રહ પર ઉતરશું: વલ્લભભાઈ તાલુકા પંચાયતના ભાજપના સભ્ય વલ્લભભાઈ ભાખરે પણ ગામલોકોના વિરોધને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તેમના ગૌચરની જમીન જો વન વિભાગને આપવામાં આવશે તો તેઓ તૈયાર નથી. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે તેમ છતાં પણ જો કઈં પણ થશે અને ધરારથી આ જમીન આપવામાં આવશે, તો આગળની કાર્યવાહી અમે અમારી રીતે કરશું અને આખું ગામ સત્યાગ્રહ પર ઉતરશે. આ જંગલ ખાતું નહીં પરંતુ જડ ખાતું છેઃ ગોવિંદભાઈપૂર્વ સરપંચ અને જિલ્લા કિસાન એકતા સમિતિના પ્રમુખ ગોવિંદભાઈ ભંડોલીયાએ ખૂબ જ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમનો જન્મ ગુંદાળામાં જ થયો છે અને તેમના વડીલોના સમયથી આ ગૌચરની જમીનમાં માલઢોર ચરતા આવ્યા છે. આસપાસના ત્રણ ગામ ગુંદાળા, નતાડીયા અને ઝીંઝુડાના લોકોને જાણ કર્યા વગર વન વિભાગ આ ગૌચરની જમીન પર અભ્યારણ્ય બનાવવા માંગે છે. તેમણે સવાલ કર્યો કે, સાસણથી મેંદરડા તરફ જતો રસ્તો પહોળો કરવાનો હોય કે ખડીયાથી જૂનાગઢ જતો રસ્તો પહોળો કરવાનો હોય, તો તેના માટે ગુંદાળાની ગૌચરની જમીન વન વિભાગને શા માટે આપીએ? તેમણે નિયમનો હવાલો આપતાં કહ્યું કે, જે જગ્યા પર વન વિભાગની જમીન કપાત થતી હોય, તે જ ગામમાં વન વિભાગે જમીન લેવી જોઈએ, નહીં કે અન્ય જગ્યાએથી. કોઈપણ સંજોગોમાં આ ગૌચરની જમીન એક ઇંચ પણ વન વિભાગ લેશે તો આ ત્રણ ગામના ખેડૂતો સખત વિરોધ કરશે. ભૂતકાળમાં વન વિભાગને જમીન આપી હોવા છતાં, જ્યારે નતાડીયા ગામે બાળકો માટે સ્કૂલ બનાવી ત્યારે વન વિભાગ મંજૂરી આપતું નથી, તેથી આ જંગલ ખાતું નહીં, પરંતુ જડ ખાતું છે. જંગલ ખાતાના નિયમો જડ છે અને આ વિસ્તારમાં વન વિભાગ લોકોને ખૂબ જ હેરાન પરેશાન કરે છે. ટીંબી ધાર ગૌચર જ રહેવી જોઈએઃ જિલ્લા પંચાયત પ્રમુખ જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમરે આ મામલે ઊંડો વિરોધ નોંધાવ્યો હતો. કે તેમના ધ્યાન પર આવ્યું છે કે, મેંદરડાથી સાસણ તરફ જતો મુખ્ય માર્ગ પહોળો કરવા માટે વન વિભાગના અભ્યારણ્યની જગ્યા કપાત થાય છે અને તેના બદલામાં મેંદરડા તાલુકાના ગુંદાળા ગામે આવેલી ટીંબી વાળી ધાર જે ગૌચરમાં છે, જે વન વિભાગને આપવાની વાત કરવામાં આવી છે. અંદાજે 6થી 6.5 ટ્રેક્ટર જમીન વન વિભાગને આપવાની મંજૂરી માટે સરકારને મોકલવામાં આવી છે. આ બાબતનો ગામલોકોનો સખત વિરોધ છે અને મારો પણ સખત વિરોધ છે. તેમણે સ્પષ્ટતા કરી કે, આ ગૌચર ગૌચર જ રહેવું જોઈએ. કારણ કે તે નિયત ત્રિજ્યા 1 કિલોમીટરના બદલે 3 કિલોમીટરની ત્રિજ્યાની બહાર આવે છે. જો આ જગ્યા વન વિભાગને આપવામાં આવે તો ઓછામાં ઓછા 10 ગામો અસરગ્રસ્ત થશે, જેના કારણે બિનખેતીના પ્રશ્નો તેમજ નવા મકાનો બનાવવા જેવા પ્રશ્નો ઊભા થાય તેમ છે, કારણ કે તમામ મંજૂરી વન વિભાગની લેવી પડે. તેમણે ખાતરી આપી કે તે સરકારને લેખિત અને મૌખિક રજૂઆત કરશે કે આ જગ્યાના બદલે અન્ય જગ્યાએ જ્યાં ખેડૂતો અને લોકોને તકલીફ ન પડે તેવી જગ્યા વન વિભાગને આપવામાં આવે. તેમણે અંતમાં કહ્યું કે, રોડના નિર્માણમાં સંપૂર્ણ સહકાર છે, પરંતુ આ ટીંબી ધાર ગૌચર હોવાથી અને પાંચથી વધુ ગામોના માલઢોર માટેનું એકમાત્ર સ્થળ હોવાથી તે કોઈ સંજોગોમાં વન વિભાગને આપવામાં આવશે નહીં.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 3:12 pm

સરીગામ કંપનીમાં ગેસ લીકેજ અંગે મોકડ્રીલ યોજાઈ:આગ અને ગેસ લીકેજ સમયે બચાવ કામગીરી કરવી, કેમિકલને વધુ પ્રસરતું કેવી રીતે અટકાવવું તેનું નિદર્શન કરાયું

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ GIDCમાં આવેલી સંઘ્યા ઓર્ગેનિક કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ અંગે મોકડ્રીલ યોજાઈ હતી. આ મોકડ્રીલ ગેસ લીકેજ અને આગ જેવી દુર્ઘટનાઓ સમયે બચાવ કામગીરીનો સિનારિયો ઊભો કરવા માટે કરવામાં આવી હતી. સરીગામ ઔદ્યોગિક એકમોમાં બનતી દુર્ઘટનાઓથી ઊભી થતી ઈમરજન્સીને પહોંચી વળવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર, નાયબ નિયામક-ઔદ્યોગિક સલામતી, ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગૃપ અને NDRF દ્વારા સંયુક્ત રીતે આયોજન કરાયું હતું. મોકડ્રીલ દરમિયાન કેમિકલ પ્લાન્ટમાંથી ગેસ લીકેજની દુર્ઘટના સમયે કેવી રીતે બચાવ કામગીરી કરવી અને કેમિકલને આજુબાજુના વિસ્તારમાં વધુ પ્રસરતું કેવી રીતે અટકાવવું તેનું વાસ્તવિક નિદર્શન કરવામાં આવ્યું હતું. આ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય કારખાનાઓ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે મળીને ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ કરીને ઈમરજન્સી સ્થિતિ પર કેવી રીતે કાબૂ મેળવવો તેનો અભ્યાસ કરવાનો હતો. આ મોકડ્રીલમાં નાયબ નિયામક-ઔદ્યોગિક સલામતી, ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગૃપ, NDRF, જીપીસીબી સરીગામ, પોલીસ, મેડિકલ સ્ટાફ અને ફાયર ટીમના હોદ્દેદારો સહિત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 3:11 pm

મંત્રી મોઢવાડિયાએ સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી:ઝેરી સર્પોની જાતો, તેમની વિશેષતાઓ, સર્પદંશ પછી માનવ શરીર પર થતી અસરો તેમજ વેનમ અંગે વિગતવાર માહિતી મેળવી

ધરમપુર તાલુકાના માલનપાડા ખાતે આવેલા સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ વલસાડ જિલ્લાના પ્રભારી તથા આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ઇન્સ્ટિટ્યૂટના વાઇસ પ્રેસિડેન્ટ ડો. ડી.સી. પટેલે ઝેરી સર્પોની જાતો, તેમની વિશેષતાઓ, સર્પદંશ પછી માનવ શરીર પર થતી અસરો તેમજ તેમના ઝેરમાંથી વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા બનતા વેનમ અંગે વિગતવાર માહિતી આપી હતી. મંત્રીઓએ સ્ટોરેજ રૂમ, લેબોરેટરી અને રિસર્ચ વિભાગોની મુલાકાત લઈ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વેનમ વેરીએશન, સેન્ટરની ઉપયોગિતા અને સંસ્થાનના ઇતિહાસ વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. ડૉ. પટેલે માહિતી આપી હતી કે 1993 થી અત્યાર સુધી 21,262 સર્પદંશ પીડિતોને સારવાર આપીને જીવન બચાવવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી સંસ્થામાં સર્પદંશથી એક પણ મૃત્યુ નોંધાયું નથી. તેમણે સર્પદંશ અંગે તબીબોને આપવામાં આવતી તાલીમ, રેસ્ક્યુ ટીમના માર્ગદર્શન અને અંધશ્રદ્ધા નિવારણ માટે થતી જાગૃતિ પ્રવૃત્તિઓની વિગતો પણ રજૂ કરી હતી. મંત્રી નરેશ પટેલે ડો. પટેલની સેવાકીય કામગીરીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, તેમના પ્રયાસોથી આદિવાસી વિસ્તારમાં અંધશ્રદ્ધામાં ઘટાડો થયો છે અને લોકો હવે સીધા હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી રહ્યા છે. મુલાકાત બાદ મંત્રીમંડળે વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ઇન્સ્ટિટ્યૂટને દેશનું શ્રેષ્ઠ સંશોધન કેન્દ્ર બનાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સુવિધાઓ પૂરી પાડવા સૂચના આપવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મનહર પટેલ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ફોરેસ્ટ પ્રોટેક્શન ચોકીના પટાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 2:58 pm

અમરેલીને 19 નવી ST બસો મળી:મંત્રી કૌશિક વેકરીયાએ લીલીઝંડી આપી, સામાન્ય મુસાફરની જેમ મુસાફરી કરી

ગુજરાત સરકારે અમરેલી જિલ્લા માટે વધુ 19 નવી એસ.ટી. બસો ફાળવી છે. રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ આ બસોને લીલીઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. તેમણે અન્ય આગેવાનો સાથે નવી બસોમાં સામાન્ય મુસાફરની જેમ મુસાફરી કરીને તેનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ 19 નવી બસોમાં 1 ગુર્જર નગરી અને 18 ડિલક્સ બસનો સમાવેશ થાય છે. ચાલુ નાણાકીય વર્ષમાં ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા અમરેલી જિલ્લાને અગાઉ 16 ડિલક્સ અને 8 મીડી બસ મળી હતી. આ નવી બસોના ઉમેરા સાથે, ચાલુ નાણાકીય વર્ષમાં અમરેલી જિલ્લાની સેવામાં કુલ 43 નવી બસો કાર્યરત થઈ છે. અમરેલી એસ.ટી. વિભાગને મળેલી આ નવી 19 બસોને કારણે વિવિધ ડેપો હેઠળ નવા રૂટ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં સાવરકુંડલા ડેપો હેઠળ છોટાઉદેપુર-સાવરકુંડલા, સાવરકુંડલા-વેરાવળ, સાવરકુંડલા-ગગારડી અને રાજુલા-રાજકોટ રૂટનો સમાવેશ થાય છે. અમરેલી ડેપો હેઠળ જાફરાબાદ-ગાંધીનગર અને ગાંધીનગર-જાફરાબાદ, બગસરા ડેપો હેઠળ બગસરા-કૃષ્ણનગર, બગસરા-સુરત અને સુરત-બગસરા રૂટ શરૂ થયા છે. ધારી ડેપો હેઠળ ધારી-વિસનગર, વિસનગર-ધારી અને ધારી-જામનગર રૂટ, ઉના ડેપોની ઉના-ઓખા અને કોડીનાર ડેપો હેઠળ કોડીનાર-વડોદરા, વડોદરા-કોડીનાર, કોડીનાર-રાજકોટ, દીવ-રાજકોટ અને ઉના-પોરબંદર રૂટનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, મહામંત્રી મેહુલ ધોરાજીયા, એસ.ટી. વિભાગીય નિયામક સહિત અન્ય પદાધિકારીઓ અને એસ.ટી. વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 2:46 pm

સુરતમાં SIRના 67.37 ટકા ગણતરી ફોર્મ ભરાયા:સી.આર.પાટિલ અને હર્ષ સંઘવીએ SIRના કામનું નિરીક્ષણ કરવા બૂથોની વિઝિટ કરી, BLOsની કામગીરીના વખાણ કર્યા

મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) હેઠળ સુરત શહેર-જિલ્લામાં 67.37% ગણતરી ફોર્મ ભરાઈ ગયા છે. આજરોજ રવિવારે આખરી ખાસ ગણતરી ફોર્મ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં જળશક્તિ મંત્રી પાટિલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓએ SIRના કામનું નિરીક્ષણ કરવા બૂથોની વિઝિટ કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. સૌરભ પારધીની અધ્યક્ષતામાં ધારાસભ્યો, વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ મતદાર નોંધણી અધિકારીઓ (ERO) સાથે કલેકટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન 30 નવેમ્બરને રવિવારે યોજાનારા આખરી ખાસ ગણતરી ફોર્મ કેમ્પમાં વધુમાં વધુ ફોર્મ પરત મળે તે માટે કલેક્ટરે સર્વે ધારાસભ્યો અને રાજકીય પક્ષોનો સહકાર માંગ્યો હતો. જેને પગલે આજે જળશક્તિ મંત્રી પાટિલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ધારાસભ્યો, નગરસેવકો અને અગ્રણીઓ અલગ-અલગ બૂથ પર ઉપસ્થિત રહી કામગીરીનું નિરીક્ષણ હાથ ધરાયું હતું. 16 વિધાનસભાઓ મળી 32,83,500 મતદારોના ફોર્મ પરત મળ્યાઅધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ જિલ્લામાં અત્યાર સુધી ભરાયેલા એમ્યુનરેશન ફોર્મ(EF)ની માહિતી આપતા કહ્યું કે, સુરત સિટી અને જિલ્લાની 16 વિધાનસભાઓ મળી કુલ 48,73,512 મતદારો પૈકી 32,83,500 મતદારો એટલે કે 67.37 ટકા મતદારોના ફોર્મ પરત થયાં છે. સાથે જ દરેક વિધાનસભામાં વોર્ડ વાઈઝ થયેલી કામગીરીની વિગતો આપી હતી. બાકી મતદારોનાં ગણતરી ફોર્મ ભરાવી સુપરત મેળવવા અનુરોધજિલ્લા ચૂંટણી અધિકારીએ ધારાસભ્યો અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, મતદાર નોંધણી અધિકારીઓને તેમના વિસ્તારના લોકોને જાગૃત કરી રવિવારના ખાસ કેમ્પમાં બાકી રહી ગયેલા મતદારોનાં ગણતરી ફોર્મ ભરાવી સુપરત મેળવવા અનુરોધ કર્યો હતો. સાથે જ વિવિધ પક્ષો દ્વારા અધિક ચુંટણી અધિકારી સમક્ષ વોર્ડ વાઈઝ લીસ્ટ મેળવવા, મતદારોને ત્યાં જાતે જઈ ફોર્મ ભરી પરત મેળવવા, બુથની યાદી જાહેર કરવા, મતદારોમાં સ્થળાંતર કે મરણ અંગેના પુરાવાઓ વિષે રજૂઆત કરવામાં આવી હતી. BLO અધિકારીઓ-કાર્યકર્તાઓની મહેનતને ખૂબ ખૂબ અભિનંદન: પાટીલકેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટિલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ મજૂરા વિધાનસભાના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, ઘોડદોડ રોડ ખાતે કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં SIRની કામગીરી શરૂઆત થઈ છે. BLO દ્વારા ડોર-ટુ-ડોર સંપર્ક કરીને પણ જે રીતે મહેનત કરીને મતદાર યાદીને સ્વચ્છ કરવા માટે અને અપડેટ કરવા માટે, જે મૃત્યુ પામેલા મતદારો છે એમના નામ પણ કમી થાય, જે બોગસ મતદારો છે એના નામ પણ કમી થાય અને જે ડુપ્લિકેટ મતદારો છે કે જેમના એકથી વધુ જગ્યાએ પોતાના મતદાર યાદીમાં નામ છે. કેટલાક ભૂલમાં હશે, કેટલાક ઈરાદાપૂર્વકના હશે, પણ આ તમામના નામો કમી થાય એના માટે BLO અધિકારીઓ અને કાર્યકર્તાઓ જે મહેનત કરી રહ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. SIRની કામગીરીથી ખૂબ મોટો ફાયદો દેશને ઉન્નતિના શિખરે લઈ જશેકોઈ મતદાર વધારવા કે મતદાર કાપી નાખવાની કોઈ યોજના નથી, પરંતુ જે ખરેખર મતદારો છે એમના જ નામ મતદાર યાદીમાં રહે. એના માટેનો આ પ્રયત્ન ઇલેક્શન કમિશનર દ્વારા જે કરવામાં આવી રહ્યો છે. એના કારણે ભવિષ્યમાં પણ કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની જે યોજનાઓ છે એમાં પણ લાભાર્થીઓના નંબર ઓછા થશે. જેના કારણે નાણા પંચ અને નીતિ આયોગ પણ જે પ્લાનિંગ કરશે એ પણ ચોક્કસપણે થઈ શકશે. આજે ખૂબ મોટા પ્રમાણમાં વસ્તી હોવાને કારણે એકથી વધુ જગ્યાએ નામ હોવાને કારણે બિનજરૂરી મલ્ટીપલ સંખ્યામાં મતદારો દેખાય છે. એના કારણે એમની જે ગણતરી હોય છે તે ખોટી પડે છે, પરંતુ આમાં ચોક્કસપણે જે પ્લાનિંગ કરી શકશે. એનો ખૂબ મોટો ફાયદો દેશને ઉન્નતિના શિખરે લઈ જવા માટેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સફળ થશે એવો મને વિશ્વાસ છે. 'મતદારો પોતાનું નામ મતદાર યાદીમાં હોય એ ચેક કરીને નોંધાવે'સૌ મતદાર ભાઈ-બહેનો પણ પોતે પોતાનું નામ મતદાર યાદીમાં હોય એ ચેક કરીને નોંધાવે. એકથી વધુ જગ્યાએ કદાચ રહી ગયો હોય, લગ્ન પહેલાનો હોય, લગ્ન પછીનો હોય, ટ્રાન્સફરને કારણે હોય કે અન્ય કારણોસર, જો એકથી વધુ જગ્યાએ હોય તો એ નામ પણ એક જ જગ્યાએ રાખવા માટે એ પ્રયત્ન કરી લે. તો એના કારણે પણ દેશને ખૂબ મોટો ફાયદો થવાનો છે. હું ફરીથી ઇલેક્શન કમિશનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમના અધિકારીઓ, એમના કર્મચારીઓ, અને રાજ્ય સરકારના પણ અધિકારીઓ અને BLOs સુધી સતત ખૂબ મહેનત કરીને જે આ કામ કરી રહ્યા છે આ દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે એક ખૂબ મોટું કામ થઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 30 Nov 2025 2:33 pm