અમદાવાદ શહેરના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં વોરંટ બજવણીના બદલામાં રૂ. 3,000ની લાંચ માંગવાના પ્રકરણમાં એસીબીએ એક ખાનગી વ્યક્તિની ધરપકડ કરી છે. આ કેસમાં હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડે પ્રજાજન મારફતે લાંચ માંગી હતી. એસીબીએ છટકું ગોઠવી ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શું છે સમગ્ર ઘટના?ફરિયાદીના સગા વિરુદ્ધ નેગોશિયેબલ એક્ટની કલમ-138 મુજબ લાલદરવાજા કોર્ટમાંથી ત્રણ વોરંટ નીકળ્યા હતા. આ વોરંટની બજવણી કરવા માટે ફરિયાદી અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કિશનકુમાર અને હોમગાર્ડ કેતન જોષીએ વોરંટની બજવણી કરવાના બદલામાં રૂ. 3,000ની લાંચની માંગણી કરી હતી. એસીબીનું છટકું ગોઠવી વચેટિયાને ઝડપી પાડ્યોલાંચની રકમ સીધી સ્વીકારવાને બદલે પોલીસ કર્મચારીઓએ ફરિયાદીને આ નાણાં વિષ્ણુ પટેલ નામના એક પ્રજાજન (વચેટિયા) ને આપી દેવા જણાવ્યું હતું. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ગોઠવેલા છટકા દરમિયાન હોમગાર્ડ કેતન જોષીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. હેડ કોન્સ્ટેબલના કહેવાથી વિષ્ણુ પટેલે રૂ. 3,000ની લાંચ સ્વીકારી હતી. રકમ સ્વીકારતા જ એસીબીએ વિષ્ણુ પટેલને રંગેહાથ ઝડપી લીધો હતો. ફરાર પોલીસ કર્મચારીઓની શોધખોળ શરૂએસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ હેડ કોન્સ્ટેબલ કિશનકુમાર, હોમગાર્ડ કેતન જોષી અને વચેટિયા વિષ્ણુ પટેલ સામે ગુનો દાખલ કર્યો છે. હાલમાં વચેટિયાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ફરાર પોલીસ કર્મચારીઓની શોધખોળ અને વધુ તપાસ તેજ કરવામાં આવી છે.
મહીસાગર જિલ્લાના કોઠંબા વિસ્તારમાં ત્રણ દિવસ અગાઉ તળાવમાંથી મળી આવેલી મહિલાની લાશના રહસ્ય પરથી પોલીસે પડદો ઊંચક્યો છે. જે ઘટના પ્રથમ દૃષ્ટિએ અકસ્માત લાગતી હતી, તે હકીકતમાં એક સુનિયોજિત અને ક્રૂર હત્યા હોવાનું બહાર આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ હત્યાનું કાવતરું મૃતકની સગીર વયની દીકરીએ જ તેના પ્રેમી સાથે મળીને રચ્યું હતું. ઘટનાની પૃષ્ઠભૂમિ અને હત્યાનું કારણપોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પંચમહાલ જિલ્લાના એક ગામમાં રહેતી મૃતક મહિલાની સગીર દીકરીને કમલેશ બારીયા નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. માતાએ દીકરીના લગ્ન અન્ય જગ્યાએ નક્કી કર્યા હતા, જે દીકરી અને તેના પ્રેમીને મંજૂર નહોતું. કમલેશે આ લગ્નમાં અવરોધ પણ ઊભો કર્યો હતો. અંતે, પોતાની પસંદગીના લગ્ન કરવા માટે દીકરીએ પોતાની માતાને જ રસ્તામાંથી હટાવવાની યોજના બનાવી અને તેના પ્રેમીને ઉશ્કેર્યો. ખેતરમાં બુટની દોરી વડે ગળું ઘૂંટીને નિર્મમ હત્યા કરીઆ ગુનાહિત કાવતરામાં કમલેશ અને તેના મિત્રો ઉપરાંત મૃતક મહિલાના પરિચિત જયેશ પટેલિયાએ પણ સાથ આપ્યો હતો. જયેશને પણ મહિલા સાથે વ્યક્તિગત અદાવત હતી. જયેશની મદદથી મહિલાને રાત્રિના સમયે બાજરીના એક ખેતરમાં બોલાવવામાં આવી હતી. ખેતરમાં એકઠા થયેલા આરોપીઓએ મહિલાની બુટની દોરી વડે ગળું ઘૂંટીને નિર્મમ હત્યા કરી નાખી. હત્યા બાદ ગુનાને છુપાવવા અને તેને અકસ્માતમાં ખપાવવા માટે, આરોપીઓ લાશને મોટરસાયકલ પર આશરે 18 કિમી દૂર લઈ ગયા અને કમાલપુરના નાકા તળાવમાં ફેંકી દીધી. ગળાના ભાગે ઈજાના નિશાન જોઈને પોલીસને શંકા ગઈજ્યારે તળાવમાંથી લાશ મળી ત્યારે ગળાના ભાગે ઈજાના નિશાન જોઈને પોલીસને શંકા ગઈ હતી. પંચમહાલ ગોધરા રેન્જ આઈજી વિધી ચૌધરી અને મહીસાગર એસપી સફીન હસનની સૂચના હેઠળ કોઠંબા પીઆઈ પી.આર. બલાત અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો. 2 સગીર સહિત 6 આરોપીઓની ધરપકડ ડીવાયએસપી કમલેશ વસાવાએ માહિતી આપી હતી કે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર કમલેશ બારીયા, જયેશ પટેલિયા અને બે સગીર વયના કિશોરોનો પણ સમાવેશ થાય છે. હાલ પોલીસ આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. આ ઘટના સમાજ માટે લાલબત્તી સમાન છે, જ્યાં અંગત સ્વાર્થ અને આવેગમાં આવીને એક દીકરીએ જ પોતાની માતાની હત્યા જેવું જઘન્ય પગલું ભર્યું. પોલીસની સતર્કતાને કારણે આરોપીઓ છૂટી શક્યા નથી.
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પત્ની અને 2 વર્ષની માસૂમ દીકરીને ગુમાવનારા ગુજરાતી યુવાનને બ્રિટિશ સરકારે તાત્કાલીક દેશ છોડવાનો આદેશ આપ્યો છે. પત્નીના ડિપેન્ડન્ટ વિઝા પર લંડન ગયેલા મહંમદની વિઝા લંબાવવાની અરજી ફગાવી દેતા UK સરકારે આવા બનાવો તો બનતા રહે છે તેમ કહ્યું છે. મહંમદ શેઠવાલા અને તેની 24 વર્ષની પત્ની સાદીકાબાનુ તપેલીવાલા 5 વર્ષ પહેલાં સારી જિંદગીની આશાએ UK ગયા હતા. પ્લેન ક્રેશમાં સાદીકા અને તેની 2 વર્ષની પુત્રી ફાતિમાનું મોત નિપજ્યું હતું. મહંમદ હાલ UKમાં છે પરંતુ તેની સામે મુશ્કેલ પરિસ્થિતિ આવી પડી છે. સાદીકાના ડિપેન્ડન્ટ તરીકે મહંમદને વિઝા મળ્યાં હતા. સાદીકાના મૃત્યુ બાદ હવે મહંમદને 22 તારીખ સુધીમાં UK છોડી દેવાનું કહી દેવાયું છે. ભાસ્કરે મહંમદ સાથે વાત કરીને આપવીતી જાણી હતી. 28 વર્ષીય આ ગુજરાતી યુવાનનું પૂરૂં નામ મહંમદમિયાં મહંમદ આસિફ શેઠવાલા છે. તે મૂળ વડોદરાનો રહેવાસી છે. તેણે MS યુનિવર્સિટીમાંથી B.Com કરેલું છે. વડોદરામાં તે પોતાના મિત્રની ટ્રાવેલ કંપનીમાં નોકરી કરતો હતો. પરિવારમાં માતા-પિતા અને 2 ભાઇઓ છે. જેમાંથી એક અભ્યાસ કરે છે અને બીજો દુકાન પર બેસે છે. પત્ની ટીમ લીડર તરીકે નોકરી કરતી હતી2021માં મહંમદના નિકાહ સાદીકાબાનુ સાથે થયા હતા. 2022માં તેઓ લંડન આવ્યા હતા અને સાદીકાએ લંડનની યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ બિઝનેસનો કોર્સ કર્યો હતો. દોઢ વર્ષના અભ્યાસ બાદ તેને 2 વર્ષના પોસ્ટ સ્ટડી વિઝા મળ્યાં હતા. જે જાન્યુઆરી 2026માં પૂરા થતા હતા. અભ્યાસ બાદ સાદીકાને એક કંપનીમાં ટીમ લીડર તરીકેની નોકરી મળી હતી. જ્યારે મહંમદ તેના પર ડિપેન્ડન્ટ હતો અને ડિપેન્ડન્ટ વિઝા પર UKમાં રહેતો હતો. 23મી જાન્યુઆરીએ તેના વિઝા પૂરા થયા હતા. UK સરકારે કહ્યું- આવા કેસ તો થતાં રહેમહંમદે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, મારા વિઝા પૂરા થયા બાદ મેં FLR (ફર્ધર લિવ ટુ રિમેન) માટે અરજી કરી હતી. આવો કોઇ બનાવ બને તો આપણને સપોર્ટ કરવા માટે UK સરકારે કાયદો બનાવેલો છે. જો સરકારને યોગ્ય લાગે તો તે વિઝા એક્સ્ટેન્ડ કરી દે છે. મારી અરજીનો જવાબ 9 એપ્રિલે આવ્યો. જેમાં એવું કહેવાયું છે કે આવા કેસ તો થતાં રહે છે. તમારે 14 દિવસમાં દેશ છોડવાનો છે. UK સરકારના આવા જવાબથી મહંમદ મુશ્કેલીમાં મૂકાઇ ગયો. તેણે વકીલ સાથે વાત કરી. વકીલે તેને કહ્યું કે આપણે આ કેસ કોર્ટમાં લઇ જઇશું કારણ કે આવા બનાવ દર વખતે નથી બનતા. કદાચ 22 તારીખ મારી UKમાં છેલ્લી તારીખ હશેઃ મહંમદમહંમદે કહ્યું કે, મને નથી લાગતું કે આ પહેલાં આટલા બધા લોકો એકસાથે મૃત્યુ પામ્યા હોય. વકીલ પણ એમ વિચારતા હતા કે આ કેસમાં ઇઝીલી વિઝા આપી દેશે. આ ઇન્ટરનેશનલ ન્યૂઝ છે. જેના કારણે જ ફાઇલ મૂકી હતી પણ UK સરકારે ન સ્વીકારી અને દેશ છોડવા કહ્યું છે. હવે મહંમદ પોતાના વકીલના જવાબની રાહ જુએ છે. તેણે કહ્યું કે, વકીલ આગળ ડેટ અપાવી શકે તો ઠીક છે, નહીં તો ઇન્ડિયા આવી જઇશ. અને જોબ માટે ટાટા ગ્રુપનો જોબ કોન્ટેક્ટ કરીશ. ટાટાએ મને 1 કરોડ અને એર ઇન્ડિયા એ 25 લાખ રૂપિયા આપી દીધા છે. ફાઇનલ કમ્પેન્સેશન માટે માંગેલા ડોક્યુમેન્ટ્સ 3 મહિના પહેલાં આપી દીધા છે પણ હજુ આગળ કંઇ થયું નથી. મહંમદ પહેલાં UKમાં જોબ કરતો હતો પણ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ તેની જોબ જતી રહી. હવે તે UKમાં ડ્રાઇવર તરીકે નોકરી કરીને ગુજરાન ચલાવે છે. મારૂં બધું એકસાથે જતું રહ્યુંઃ મહંમદતેણે કહ્યું કે, આ બનાવ બન્યો એ પહેલા મારી વાઇફને વર્ક પરમિટ મળવાની હતી. અમે લંડન છોડીને રગ્બી ટાઉનમાં રહેવા ગયા હતા. મારી વાઇફે નવી જોબ જોઇન કરી. ત્યાં 3 મહિનાનો પ્રોબેશન પિરિયડ હોય છે. મારા ભાઇના નિકાહ હતા એટલે મારી વાઇફ મહિનાની રજા લઇને જ ગુજરાત આવી હતી. કંપનીએ મને રજા નહોતી આપી એટલે હું મારા પોતાના ભાઇના જ નિકાહમાં ભારત નહોતો આવ્યો. જ્યારે પ્લેન દુર્ઘટના બની ત્યારે હું કંપનીમાં કહ્યા વગર જ ભારત આવી ગયો હતો કેમ કે દુર્ઘટના વિશે સાંભળ્યા બાદ હું કંપનીમાં જાણ કરવા રોકાઉ તેવા કોઇ હોંશ જ નહોતા. પત્ની સાથે છેલ્લીવાર વાત પણ ન થઇભાસ્કર સાથેની વાતચીતમાં મહંમદે પ્લેન દુર્ઘટનાના દિવસને પણ યાદ કર્યો. તેણે જણાવ્યું કે, દુર્ઘટના ઘટી ત્યારે અહીં UKમાં સવારે લગભગ 8:30 વાગ્યા હતા. એ સમયે હું ઘરેથી નીકળ્યો હતો. મારી વાઇફ અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશનની લાઇનમાં ઊભી હતી. તેણે મને કહ્યું કે ફ્લાઇટમાં બેસીને તમને કોલ બેક કરું છું. 'એરપોર્ટ પર આપવાના ડોક્યુમેન્ટ ઓનલાઇન જનરેટ કરવાના હોય છે. વાઇફના હાથમાં અમારી દીકરી હતી તો એણે મને કહ્યું કે તમે મને જનરેટ કરીને મોકલી આપો. મેં એને અહીંથી ડોક્યુમેન્ટ મોકલ્યા હતા. એ પછી મારે તેની સાથે કોન્ટેક્ટ ન થયો કારણ કે 9 વાગ્યે હું જોબ પર જતો રહ્યો હતો. બપોરે 4:30 વાગ્યે મારે તેમને લેવા એરપોર્ટ પર જવાનું હતું.' દુર્ઘટના અંગે કેવી રીતે જાણ થઇ?મહંમદે આગળ કહ્યું, હું જોબ પર હતો ને મને વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ આવ્યો કે અમદાવાદથી લંડન આવતી ગેટવીક ફ્લાઇટ ક્રેશ થઇ છે. જે મિત્રએ ટિકિટ કરાવી હતી મેં તેને કોલ કર્યો તો તેણે ન ઉપાડ્યો એટલે હું ઘરે ગયો. એ મારો ફ્લેટમેટ છે. મેં તેને કહ્યું કે આવું થયું છે. તેણે તરત જ એર ઇન્ડિયામાં મેલ કર્યો અને ફોન કર્યો પણ કોઇ રિસ્પોન્સ આવ્યો નહીં. 10-15 મિનિટ પછી ન્યૂઝ મળ્યા કે મારી પત્ની અને દીકરી જે ફ્લાઇટમાં હતા એ જ ફ્લાઇટ ક્રેશ થઇ છે. ‘એ સમયે મારા બધા મિત્રો એકઠા થયા હતા. એ જ દિવસે સાંજે ફ્લાઇટ લઇને હું ઇન્ડિયા આવી ગયો. મારી દીકરી ફાતિમાનો મૃતદેહ મને 17 જૂને મળ્યો. જ્યારે વાઇફનો મૃતદેહ 22 જૂને મળ્યો હતો.’ પત્ની અને દીકરીના મૃત્યુ બાદ મહંમદનું જીવન ઘણું બદલાઇ ગયું છે. તેને મનોચિકિત્સકની મદદ પણ લેવી પડી હતી. ફોટો-વીડિયો યાદોનો સહારો બન્યાંતેણે જણાવ્યું કે, આ દુર્ઘટના બાદ મારું જીવન બદલાઇ ગયું છે કારણ કે બધી જ વસ્તુમાં હું વાઇફ પર જ ડિપેન્ડન્ટ હતો. UKમાં જ્યારે નાના છોકરા જોઉં છું ત્યારે દીકરીની બહુ જ યાદ આવે છે. પત્ની સાથે ફરવા ગયો હતો એ ફોટો-વીડિયો મૂકી રાખ્યા છે. એ જોઇને હવે સારું લાગે છે. એમ થાય છે કે જે સમય પસાર કર્યો એ સારી રીતે કર્યો. લગ્ન કર્યા પછી અમે ફરવા ગયા જ નહોતા. 'લંડનમાં આવ્યાના દોઢ વર્ષ બાદ અમે પહેલીવાર ફરવાનો પ્લાન કર્યો હતો કારણ કે મારા ફેમિલી બેકગ્રાઉન્ડને લીધે અમે પત્નીના અભ્યાસ અને અમારી જોબ પર વધારે ફોકસ કરતાં હતા. એ પછી આઇલ ઓફ વેઈ ફરવા ગયા. એ સમયે ફાતિમા પણ 6 મહિનાની થઇ ગઇ હતી. અમે સૌથી વધારે 4 દિવસ સાથે રહ્યાં હતા. કારણ કે UKમાં અમે બન્ને જોબ કરતાં હતા. વાઇફ જોબ પર જાય ત્યારે દીકરીને સંભળાવા હું ઘરે રહું. એ આવે ત્યારે હું જોબ પર જઉં. જેથી મળવાનું બહુ ઓછું થતું.' 'ભારત આવીશ તો માનસિક સ્થિતિ બગડશે'મહંમદ કહે છે કે, મેં સાયકાટ્રિસ્ટ પણ એપોઇન્ટ કર્યો હતો. UKમાં મેડિકલ સિસ્ટમ એટલી સારી નથી. સરકારી સાયકાટ્રિસ્ટની એપોઇન્ટમેન્ટ સાતેક મહિના પછી મળશે એવું કહ્યું. જેથી મેં પ્રાઇવેટ સાયકાટ્રિસ્ટ પાસે સારવાર શરૂ કરાવી હતી. મેં એ સારવારનો રિપોર્ટ પણ અરજીની સાથે અપલોડ કર્યો હતો પણ UK સરકારે કંઇ સ્વીકાર્યું નહીં. જો હું ઇન્ડિયા આવીશ તો મને પત્ની-દીકરીની યાદ આવશે અને સ્થિતિ સારી થવાના બદલે વધારે બગડી જશે. છેલ્લે તેણે પોતાની દીકરીને યાદ કરીને ભાવુક વાત કરી. તેણે કહ્યું કે, દીકરીની તો વાત જ ન પૂછો. રાત્રે થાકીને જ્યારે ઘરે આવું ત્યારે દીકરી મને હગ કરતી, કિસ કરતી. એ બહુ યાદ આવે છે.ફાતિમા જ્યારે સવારે ઉઠતી ત્યારે તેની મમ્મી જોબ પર હોય એટલે હું તેને તૈયાર કરીને રાખતો હતો. મારા મિત્રો આજે પણ મને એકલો નથી રહેવા દેતા. હું મેસેજ કરું કે જોબ પરથી ઘરે જઉં છું તો કોઇપણ એક ફ્રેન્ડ મારી સાથે રૂમ પર આવીને રહે છે કારણ કે હું એકલો હોઉં તો તેમના ફોટો-વીડિયો જોઇને આંખોમાંથી પાણી આવી જાય છે. હવે મહંમદ સાવ એકલો પડી ગયો છે. તેને કોર્ટમાંથી રાહત નહીં મળે તો પત્ની-દીકરી સાથે જોડાયેલી યાદોને લંડનમાં જ છોડી ભારત પરત આવવું પડશે.
હર્ષ સંઘવીએ સાયલામાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા:વિકાસ સંકલ્પ સભામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર ભાર
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાની મુલાકાત લીધી હતી. તેમણે સાયલા સાર્વજનિક હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે 'વિકાસ સંકલ્પ સભા'ને સંબોધિત કરી હતી. આ મુલાકાત સ્થાનિક સ્વરાજ્યની 2026માં યોજાનારી ચૂંટણીઓના પડઘમ વચ્ચે થઈ હતી, જે રાજકીય ગતિવિધિઓનો સંકેત આપે છે. આ સભામાં લીંબડીના ધારાસભ્ય, સંગઠન મંત્રીઓ અને ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંઘવીએ દરેક વિસ્તારમાં 100 ટકા મતદાન થાય તે માટે લોકોને આહ્વાન કર્યું હતું. તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની ગતિ તેજ બને તેવી ટકોર પણ કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના સંબોધનમાં કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
બોટાદ SOG પોલીસે બોગસ ડોક્ટર ઝડપ્યો:ગઢડાના રણીયાળા ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો શખ્સ પકડાયો
બોટાદ SOG પોલીસે ગઢડાના રણીયાળા ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી ₹64,594નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SOG શાખાના પીઆઈ ટી.બી. હિરાણીની દેખરેખ હેઠળ પીએસઆઈ એ.એમ. રાવલ સહિતની ટીમે આ કાર્યવાહી કરી હતી. પેટ્રોલિંગ દરમિયાન ASI જયેશભાઈ ધાધલ, ગોવિંદભાઈ ગળચર અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગાયત્રીબેન જોષીને ખાનગી બાતમી મળી હતી. આ બાતમીના આધારે, ગઢડા તાલુકાના રણીયાળા ગામે રામજી મંદિર સામે ચાલતા દવાખાનામાં દરોડો પાડવામાં આવ્યો. તપાસમાં શૈલેષભાઈ ઘુડાભાઈ યાદવ નામનો શખ્સ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું. પોલીસે સ્થળ પરથી દવાઓ, ગ્લુકોઝ બોટલ, સિરીંજ, નીડલ અને બીપી મીટર સહિત કુલ ₹64,594નો સામાન જપ્ત કર્યો છે. આરોગ્ય સાથે ચેડા કરનાર આ બોગસ ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
IPL 2026, GT vs KKR : ગુજરાત ટાઈટન્સની કોલકાતા સામે શાનદાર જીત, ગિલ-રબાડાનું દમદાર પ્રદર્શન
IPL 2026, Gujarat Titans vs Kolkata Knight Riders : આઈપીએલ-2026માં આજે કેપ્ટન શુભમન ગીલની દમદાર બેટિંગ અને કાગીસો રબાડાની ધારદાર બોલિંગના કારણે ગુજરાત ટાઈટન્સનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે વિકેટે વિજય થયો છે. પ્રથમ બેટિંગમાં ઉતરેલી કોલકાતાની ટીમ નિર્ધારીત 20 ઓવરમાં 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ગુજરાતની ટીમે 19.4 ઓવરમાં 181 રન નોંધાવી વિજય મેળવી લીધો છે. આ સાથે ગુજરાતે અત્યાર સુધીમાં કુલ પાંચ મેચ રમીને ત્રણ મેચ જીતી લીધી છે. કેમરોન ગ્રીનની વિસ્ફોટ બેટિંગ એડે ગઈ
જૂનાગઢ શહેરના મંગલધામ વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક મહિલા કર્મચારીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા પરિવાર અને હોસ્પિટલ સ્ટાફમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ખાસ વાત એ છે કે, મહિલાએ આજે સવારે જ પોતાની સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ ઘરે આવી આ આત્મઘાતી પગલું ભર્યું હતું. રાજીનામું આપ્યા બાદ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતીજૂનાગઢના મધુરમ વિસ્તારમાં અલ્ટ્રા સ્કૂલ પાસે મંગલધામ-1 વિસ્તારમાં રહેતા સુધાબેન વિજયભાઈ સોલંકી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પટાવાળા તરીકે સરકારી સેવા આપતા હતા. આજે સવારે તેઓ હંમેશ મુજબ પોતાની ફરજ પર ગયા હતા અને ત્યાં નોકરીમાંથી રાજીનામું આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. રાજીનામું આપ્યા બાદ તેઓ પોતાના ઘરે પરત ફર્યા હતા અને કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યોઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. સી-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક મંગલધામ ખાતેના તેમના નિવાસસ્થાને દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને નીચે ઉતારી, જરૂરી પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. સરકારી નોકરીમાંથી અચાનક રાજીનામું આપવું અને ત્યારબાદ તરત જ આત્મહત્યા કરી લેવી એ બાબત અનેક સવાલો ઉભા કરી રહી છે. શું મહિલા કર્મચારી પર કોઈ પ્રકારનું દબાણ હતું કે પછી કોઈ અંગત મુસીબતને કારણે આ પગલું ભર્યું છે, તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. હાલમાં આત્મહત્યા પાછળનું સચોટ કારણ જાણી શકાયું નથી, પરંતુ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિદેશી નાગરિકને 20 વર્ષની કેદ:અમદાવાદ એરપોર્ટ પર ફિલિપાઇન્સની મહિલા 2 કિલો હેરોઇન સાથે ઝડપાઈ હતી
અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી NDPSની વિશેષ અદાલતે ગીનાલેન પાડીવાન લીમોનને 4 સાહેદ અને 35 પુરાવાને આધારે 20 વર્ષની સખત કેદ અને કુલ 4 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ફિલિપાઇન્સની મહિલા 2 કિલો હેરોઇન મળ્યું હતુંકેસને વિગતે જોતા વર્ષ 2024માં ફિલિપાઇન્સની મહિલા આરોપી ગીનાલેન પાડીવાન લીમોન સામે ઇમિગ્રેશન વિભાગ દ્વારા લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો હતો. જેને લઇને અમદાવાદ એરપોર્ટ ખાતે ઇમિગ્રેશન વિભાગે તેને રોકી હતી. તેની બેગ ચેક કરતા તેની બેગમાંથી 2.121 કિલો જેટલું હેરોઇન મળી આવ્યું હતું. જેથી તેની સામે NDPS એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારીકોર્ટે નોંધ્યું હતું કે, યુવાધન ડ્રગ્સના રવાડે બરબાદ થઈ રહ્યું છે, જેની અસર તેમના કુટુંબો ઉપર પણ પડી રહી છે. આરોપી વિદેશી નાગરિકે ભારતમાં કોમર્શિયલ ક્વોન્ટિટમાં ડ્રગ્સ ઘુસાડવાની કોશિશ કરી છે. ત્યારે વિશ્વમાં દાખલો બેસે તેવી સજા કરવી જરૂરી છે. આથી આરોપીને 20 વર્ષ સખત કેદની સજા ફટકારવામાં આવે છે.
નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલા નવસારીના સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. જલાલપોરના વોર્ડ નંબર 2 માં આવેલા કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયને પૂર્વ મંજૂરી વિના શરૂ કરાયું હોવાનું ગણાવીને મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા સીલ મારી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહી બાદ કોંગ્રેસના ઉમેદવાર અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મામલતદારના આદેશથી કાર્યવાહીમાહિતી મુજબ, વોર્ડ નંબર 2 ના ગૌરીશંકર મહોલ્લામાં રામદેવપીર મંદિર પાસે કોંગ્રેસનું આ કાર્યાલય કાર્યરત હતું. મામલતદાર કચેરીને ફરિયાદ મળી હતી કે આ કાર્યાલય કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વિના શરૂ કરવામાં આવ્યું છે. આ ફરિયાદના આધારે મામલતદારના આદેશથી નવસારી મહાનગરપાલિકાના દબાણ વિભાગે તાત્કાલિક પગલાં લઈ કાર્યાલયને બંધ કરાવ્યું હતું. ઉમેદવારનો દાવો: આ મારી ખાનગી પ્રોપર્ટી છેકોંગ્રેસના ઉમેદવાર વિપુલસિંહ બી. મકવાણા પોતાનો રોષ ઠાલવતા જોવા મળે છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ જગ્યા કોઈ સામાન્ય કાર્યાલય નથી, પરંતુ તેમની પોતાની ખાનગી માલિકીની પ્રોપર્ટી (દુકાન) છે. તેમણે કહ્યું કે, પોતાની જ પ્રોપર્ટીમાં બેસવા માટે કોઈની પરવાનગી લેવાની જરૂર રહેતી નથી. બહારના ખુલ્લા સ્થળ માટે પરવાનગી લેવાની પ્રક્રિયા મામલતદાર કચેરીમાં ચાલી જ રહી છે, પરંતુ તે પહેલાં જ આ કાર્યવાહી કરી દેવામાં આવી છે. ભાજપ પર સત્તાના દુરુપયોગ અને પક્ષપાતનો આક્ષેપકાર્યાલય બંધ કરાવવાની આ કાર્યવાહીને ઉમેદવારે ભાજપનું રાજકીય કાવતરું ગણાવ્યું છે. વિપુલ મકવાણાએ સીધો આક્ષેપ કર્યો કે ભાજપ સત્તાનો દુરુપયોગ કરી રહ્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે ભાજપના કાર્યકરો ગમે ત્યાં મંડપ બાંધી દે છે અને પ્રચાર કરે છે, ત્યારે તેમને કોઈ રોકતું નથી. પરંતુ કોંગ્રેસને ચૂંટણી પ્રચાર કરતા રોકવા અને હેરાન કરવા માટે જાણીજોઈને ગંદી રાજનીતિ કરવામાં આવી રહી છે. સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષયનોંધનીય છે કે નવસારી પાલિકાની કુલ 52 બેઠકોમાંથી 2 બેઠકો પર ભાજપ પહેલેથી જ બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસ પોતાનું ચૂંટણી કાર્યાલય પણ બચાવી શકી નથી તેવી ચર્ચાઓએ શહેરમાં જોર પકડ્યું છે. પાલિકાની આ કાર્યવાહી બાદ નવસારીના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે, અને કોંગ્રેસ આગામી દિવસોમાં આ મુદ્દે વધુ આક્રમક વલણ અપનાવે તેવી શક્યતાઓ છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાવનગરમાં આજે સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું છે, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય સેજલબેન તથા શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ સંકલ્પ પત્ર રજૂ કરાયું હતું. દેશ આજે વડાપ્રધાન અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે, ત્યારે ડબલ એન્જિનની સરકારના સહકાર સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપ મજબૂત દાવેદારી નોંધાવી રહ્યું છે ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે અગ્રણીઓની ઉપસ્થિતિમાં સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું, મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ધરતી પર નાગરિકોને વધુ સુવિધાઓ મળે તે માટેના ભવિષ્યના આયોજન સાથે આ સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં થીમ આધારિત બગીચા, મહિલા સશક્તિકરણ માટે પિંક ટોયલેટ, યુટિલિટી પોલિસી ડેવલપમેન્ટ, ટ્રાફિક પાર્ક, સ્માર્ટ અને સસ્ટેનેબલ સ્ટ્રીટ લાઇટિંગ, મોતીબાગ ટાઉનહોલ ખાતે હેરિટેજ ડાઇનિંગ હોલ, સિનિયર સિટિઝન પાર્ક, સ્માર્ટ આંગણવાડી ફેઝ-2, દિવ્યાંગો માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ સહિત કુલ 37 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, ભાજપે ગત કાર્યકાળ દરમિયાન આપેલા વચનો પૂર્ણ કર્યા હોવાનો દાવો કરતાં આ સંકલ્પ પત્રને “ભરોસા પત્ર” તરીકે રજૂ કરવામાં આવ્યું અને કહ્યું કે, લોકોનો ભાજપ પરનો ભરોસો જેમાં ભાવનગરનો વિકાસ અટકશે નહિ અને અન્ય સ્માર્ટ સીટીની માફક વિકાસ કરવા રાજ્યસરકાર કટિબદ્ધ છે તેમ જણાવી આગામી ચૂંટણીમાં વિકાસના મુદ્દાઓ સાથે પ્રચાર કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.
નર્મદા પંચકોશી પરિક્રમા સંપન્ન:એક મહિનામાં 9 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી
રાજપીપળા: નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમા 19 માર્ચથી 17 એપ્રિલ સુધી ચાલી હતી, જેનું સુખદ સમાપન થયું છે. આ એક મહિનાના સમયગાળામાં 9 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી હતી. પરિક્રમા દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, ખાસ કરીને અંતિમ ચરણમાં. સમગ્ર યાત્રા કોઈ મોટી દુર્ઘટના વિના સુપેરે સંપન્ન થઈ હતી, જેમાં શ્રદ્ધાળુઓએ ઉપલબ્ધ સુવિધાઓનો લાભ લીધો હતો. અખિલ ભારતીય સંત સમિતિના જિલ્લા પ્રમુખ સદાનંદ મહારાજે જણાવ્યું હતું કે, આ પરિક્રમા યાત્રા સ્થાનિક રોજગારી માટે એક સારો અવસર બની રહી. નાના વેપારીઓ અને 200થી વધુ ખાનગી વાહનોને રોજગારી મળી, જેનાથી સ્થાનિક મંદિરોની આર્થિક સમૃદ્ધિમાં પણ વધારો થયો. પ્રશાસન દ્વારા લાઇટિંગ અને સ્વચ્છતાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનાથી ભક્તો પ્રભાવિત થયા હતા. સોશિયલ મીડિયાના પ્રચારને કારણે પરિક્રમામાં ભક્તોનો ધસારો વધુ જોવા મળ્યો. શ્રદ્ધાળુઓ આગામી સમયમાં બંને બાજુ બ્રિજ તૈયાર થાય તેવી આશા રાખી રહ્યા છે.
રાજકોટ શહેરના ઉષાબેન રવિભાઈ મહેતા (ઉં.વ. 36) એ ગઈકાલે બપોરે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, ઉષાબેને દોઢ વર્ષ પહેલાં પ્રથમ પતિથી છૂટાછેડા લીધા બાદ રવિભાઈ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્ન ઉષાબેનના માવતર પક્ષને મંજૂર ન હોવાથી માતા સહિતના પિયર પક્ષના સભ્યોએ તેમની સાથેના તમામ વ્યવહારો તોડી નાખ્યા હતા. પરિવારના આ અસ્વીકારને કારણે પરિણીતા લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી, જેના લીધે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. રાજકોટમાં ગેરકાયદે વસવાટ કરતી વધુ બે બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈરાજકોટ: રાજકોટ શહેર SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ રૈયા ચોકડી પાસેથી ગેરકાયદેસર રીતે રહેતી બે બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી છે. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ બંને મહિલાઓ છેલ્લા દોઢ વર્ષથી કોઈ પણ કાયદેસરના આધાર પુરાવા વગર અહીં મજૂરી કામ અર્થે વસવાટ કરતી હતી. SOG દ્વારા આ બાબતે અન્ય તપાસ એજન્સીઓને જાણ કરવામાં આવી છે અને બંને મહિલાઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 મહિનામાં રાજકોટમાંથી કુલ 38 બાંગ્લાદેશી નાગરિકો (29 મહિલા, 6 પુરુષ અને 3 બાળકો) ને ઝડપી પાડી ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. દાદીના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરતા સગર્ભા પત્નીને પતિએ માર માર્યોરાજકોટ: મનસુખભાઈ છાપીયા ટાઉનશીપમાં રહેતી અલ્ફીઝા ઠાસરીયા નામની 25 વર્ષીય સગર્ભા મહિલાએ તેના પતિ અને સાસુ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ફેબ્રુઆરીમાં પ્રેમ લગ્ન કર્યા બાદ સાસુ ઘરકામ બાબતે મેણાટોણા મારતા હતા અને પતિ અન્ય યુવતીઓ સાથેના સંબંધો બાબતે ઠપકો આપતા મારપીટ કરતો હતો. તાજેતરમાં પતિ મોરબી જવાનો હોવાથી ત્રણ મહિનાનો ગર્ભ ધરાવતી અલ્ફીઝાએ તેના જંગલેશ્વર સ્થિત દાદીના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ વાત પર ઉશ્કેરાઈને પતિ ફેઝલે 'માવતર પક્ષ સાથે સંબંધ રાખવાનો નથી' તેમ કહી પત્નીને માર માર્યો હતો અને દાદીના ઘર પાસે મૂકીને જતો રહ્યો હતો. આ મામલે તાલુકા પોલીસે પતિ ફેઝલ અને સાસુ કુલસુમબેન વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં વેપારી સાથે 26.50 કરોડની ઉંચાપાતના કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા બેંકના કર્મચારી અને એજન્ટની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરવામાં આવી છે. વેપારીને ફેસબુકના માધ્યમથી લિંક મોકલી વર્ચ્યુઅલ વૉલેટમાં 43,500ની રકમ બતાવી. જે બાદ વેપારીને તેના પર થતા વ્યાજ સહિતની નફાની રકમ 2 કરોડ વિડ્રો કરવા માટે 24.50 કરોડ જમા કરાવવા પડશે એવી લાલચ આપી વેપારીના પૈસા ઓનલાઈન મેળવી લીધા હતા. ફરિયાદી પાસેથી નફા પર લાગતા ઈન્કમ ટેક્સની રકમ પણ જમા કરાવીઆ કેસની હકિકત એવા પ્રકારની છે કે, રાજકોટમાં વ્યવસાય કરતા ફરિયાદી જીતેન્દ્રભાઈ મુળજીભાઈ અકબરી સાથે આરોપીએ ફેસબુકથી સંપર્ક કર્યો હતો અને લિંક મોકલી 43,500ની રકમ વર્ચ્યુઅલ વોલેટ માં બતાવી તેની ઉપર નફાની રકમ ચડાવી હતી. જે રકમ વિડ્રો કરવા માટે અલગ-અલગ ચાર્જીસ ડિપોઝીટ કરાવ્યા હતા. ત્યારબાદ આ રકમ ઉપર ફરિયાદીને થતા નફાની રકમ 2 કરોડ બતાવી આ રકમ વિડ્રો કરવા માટે કુલ 24.50 કરોડ ફરિયાદી પાસે જમા કરાવ્યા હતા. આ રીતે કુલ 26.50 કરોડની રકમ ફરિયાદી પાસે જમા કરાવ્યા બાદ નફા ઉપર થતા ઈન્કમ ટેક્ષની રકમ પણ જમા કરાવડાવી હતી. એક પછી એક વિવિધ બહાના હેઠળ કરોડોની રકમ જમા કરાવ્યા બાદ એક પણ રૂપિયો ફરિયાદીને ન મળતા CID સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 25થી વધુ લોકોને ઊંચા વ્યાજ અને નફાની લાલચ આપીને પૈસા પડાવ્યાઆ ફરિયાદની તપાસ દરમ્યાન ધ્યાનમાં આવેલ કે, મેઘના ગુપ્તાનુ નામ ધારણ કરી એક વ્યક્તિ અનેક લોકોને ઉંચા વ્યાજ અને નફાની લાલચો આપી કરોડો રૂપિયા ડીપોઝીટ કરાવે છે અને આવી કરોડો રૂપિયાની રકમ 25 થી વધુ વ્યક્તિઓના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. ખાતા ધારકની પુછપરછ કરતા તપાસનીશ અમલદારને જાણવા મળ્યું કે, અરજદાર / આરોપીઓ આસીફ અમીનભાઈ થઈમ અને હિરેન રમેશભાઈ પિત્રોડા પોતાના ઓળખીતા મિત્રોના નામે વિવિધ બેંકોમાં ખાતાઓ ખોલાવી સાઈબર ક્રાઈમની આવી કરોડોની રકમ આ ખાતાઓમાં ટ્રાન્સફર કરી આ રકમો વીથ ડ્રો કરી લે છે. આ રીતે રકમ વીથ ડ્રો કર્યા બાદ તેઓ પોતાના માલિકોને આ રકમ મોકલી લાખો રૂપિયાનુ કમિશન મેળવે છે. બંને આરોપીઓની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરાઈજે મામલે બચાવ પક્ષે જામીન અરજીના સમર્થનમાં રજુઆત કરી હતી કે, ફરીયાદમાં બંને અરજદાર /આરોપીઓના નામ નથી તેમજ તેઓએ કમિશન પેટે કોઈ રકમ મેળવેલ હોય એવો સ્પષ્ટ પુરાવો નથી, તેથી ચાર્જશીટ બાદ બંને આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ. જોકે સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવ્યું હતુ કે, બેંકના કર્મચારી તરીકે કોઈના નામના બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં રહેલ રકમ અલગ-અલગ વ્યકિતઓ મારફત વિડ્રો કરાવવાની કાર્યવાહી દેખીતી રીતે ગુનાહીત જણાઈ આવે છે. આ પ્રકારની ગુનાહીત પ્રવૃતિમાં આ બંને આરોપીઓએ સભાનપણે ભાગ ભજવ્યો છે. બંનેમાંથી કોઈપણ આરોપીએ તેમના મારફત ખોલાવવામાં આવેલ બેંક ખાતામાં કયાંથી અને કયાં કારણસર આટલી મોટી રકમો જમા થાય છે, તે અંગે કોઈ જ જાણકારી મેળવ્યા વિના પ્રવૃતિઓ કરે તે જ તેઓનુ ગુનાહિત માનસ છતુ કરે છે. અનેક વ્યકિતઓના કરોડો રૂપિયાની ઉચાપત થયા હોય ત્યારે ફરિયાદમાં નામ ન હોવાનુ કોઈ મહત્વ નથી. સાયબર ક્રાઈમમાં કૌભાંડકારોના ક્યારેય નામ નથી હોતા કારણ કે, આવા વ્યકિતઓ વોટસએપ મારફત ફ્રેન્ડશીપ રીકવેસ્ટ મોકલી યુવાનો અને અમીરોને ફસાવતા હોય છે. આ તમામ રજુઆતોને ધ્યાનમાં લઈ બંને આરોપીઓની ચાર્જશીટ બાદની જામીન અરજી અધિક સેશન્સ જજ પી. જે. કાયસ્થ દ્વારા રદ કરાઈ છે.
જૂનાગઢ-વંથલી હાઇવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે વંથલીના કોયલી ફાટક નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ડમ્પરે બાઇક ચાલકને અડફેટે લેતા આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે બાઈકને ટક્કર મારીજૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા કાંતિભાઈ ભાણજીભાઈ સોલંકી (ઉંમર 50 વર્ષ) પોતાના બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે કોયલી ફાટક નજીક પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કાંતિભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. 50 વર્ષીય આધેડના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે મૃતકને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રાફિક હળવો કર્યોઅકસ્માતની આ ઘટનાને પગલે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ હાઇવે રોડ પર વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે તેમછતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી.પોલીસે હાલમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં અનેક બહારથી આવેલા લોકોને પોલીસનો કડવો અનુભવ થયો છે ત્યારે વધુ એક વખત મધ્યપ્રદેશથી આવેલા એક કરિયર કોચને કડવો અનુભવ થતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે જેના આધારે સાયબર ક્રાઈમ DCPને તપાસ સોંપવામાં આવી છે. પોલીસે મોબાઈલ લઈને પરમિશ વગર મેસેજ અને ફોટો ગેલેરી તપાસીમધ્યપ્રદેશના કરિયર કોચ પંકજસિંહે સોશિયલ મીડિયા મારફતે એવી ફરિયાદ કરી છે કે, તેઓ મધ્યપ્રદેશના ઇન્દોરમાં કેરિયર કોચ તરીકે કામગીરી કરે છે અને કોઈ કામ માટે અમદાવાદ આવ્યા હતા. ઓફિસમાં કામ પૂર્ણ કરીને પરત જઈ રહ્યા હતા ત્યારે CTM નજીક એક્સપ્રેસ-વે પર આવેલી પોલીસ ચેકપોસ્ટ પર તેમને રોકવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે તેમનો મોબાઈલ લઈને તેમની મંજૂરી વિના તેમાં રહેલા મેસેજ અને ફોટો ગેલેરી તપાસી હતી. ઉપરાંત તેમને આશરે એક કલાક સુધી અટકાવી રાખીને હેરાનગતિ કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. ચા-પાણીના નામે લાંચની માંગણી કરવામાં આવીઆ સાથે પોલીસ કર્મચારીઓએ તેમના મિત્રની ડાયરી તપાસીને કબુતરબાજીનો શંકાસ્પદ આરોપ પણ મૂક્યો હતો. પોલીસકર્મીઓ તેમની કારમાં બેસીને મોબાઈલ તપાસતા રહ્યા હતા, જ્યારે તેઓને રસ્તા પર ઉભા રહેવા મજબૂર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન જો કંઈ હોય તો ‘પતાવી દેવા’ માટે કહીને ચા-પાણીના નામે લાંચની માંગણી કરવામાં આવી હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને પંકજસિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા મામલો વાયરલ બન્યો હતો. પોસ્ટ શહેર પોલીસના ધ્યાન પર આવતા જ તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમ ડીસીપી લવિનાસિંહાએ પોસ્ટના આધારે તપાસ હાથ ધરી છે. જો તેમાં તથ્ય જણાશે તો સંડોવાયેલા પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં ગુનાખોરીના ત્રણ ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. પ્રથમ ઘટનામાં નવરંગપુરામાં એક્સિસ બેંકના એક આસિસ્ટન્ટ સેલ્સ મેનેજરે ગ્રાહક સાથે વિશ્વાસઘાત કરી ખાતું ખોલાવવાના નામે રૂ. 1 લાખ પર્સનલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. જ્યારે બીજી ઘટનામાં નવા વાડજમાં વ્યાજે લીધેલા નાણાં સામે ચાર ગણી રકમ ચૂકવી દીધી હોવા છતાં, વ્યાજખોરે મિત્રો સાથે મળી ફૂટપાથ પર લારી ચલાવતા વેપારીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રથમ બનાવ: બેંક મેનેજર દ્વારા ગ્રાહક સાથે છેતરપિંડીનવરંગપુરા એક્સિસ બેંકમાં આસિસ્ટન્ટ સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા ભાવેશ ભીમસુરે ગ્રાહક સૌરભભાઈ પટેલ સાથે છેતરપિંડી આચરી હતી. ઓગસ્ટ 2025માં સૌરભભાઈ નવું કરન્ટ એકાઉન્ટ ખોલાવવા આવ્યા ત્યારે ભાવેશે તેમનો વિશ્વાસ જીતી ખાતું ખોલાવવા માટે ટુકડે-ટુકડે કુલ રૂ. 1 લાખ મેળવ્યા હતા. ભાવેશે આ રકમ બેંકમાં જમા કરાવવાને બદલે પોતાના અંગત સેવિંગ્સ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી. લાંબા સમય સુધી ખાતું ન ખુલતા ગ્રાહકે બેંકનો સંપર્ક કર્યો અને આંતરિક તપાસમાં કૌભાંડ ખુલતા બેંક મેનેજર કોમલબેને ભાવેશ વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બીજો બનાવ: વ્યાજખોરોએ 1 લાખ સામે 4.50 લાખ વસૂલ્યાનવા વાડજમાં રહેતા અને એચ.એલ. કોલેજ પાસે 'મહાલક્ષ્મી ફ્રેન્કી'ની લારી ચલાવતા હેમલ બંસીલાલ શાહે વર્ષ 2022માં ધંધા માટે જીગર અમૃતભાઈ દેસાઈ પાસેથી 10 ટકા વ્યાજે રૂ. 1 લાખ લીધા હતા. હેમલભાઈએ અત્યાર સુધીમાં મૂડી અને વ્યાજ મળી કુલ રૂ. 4.50 લાખ ચૂકવી દીધા હોવા છતાં જીગર દેસાઈ વધુ નાણાંની કડક ઉઘરાણી કરતો હતો. જીગર દેસાઈ 'તારીખ વીત્યા બાદ ડબલ વ્યાજ' માંગતો હતો. ગત 31 જાન્યુઆરીએ જીગર દેસાઈ તેના મિત્ર યશ રબારી અને અન્ય બે અજાણ્યા શખ્સો સાથે લારી પર પહોંચ્યો હતો અને હેમલભાઈને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હેમલ શાહે આ મામલે જીગર દેસાઈ અને યશ રબારી સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્રીજો બનાવ: યુકેના વિઝા માટે બનાવટી ડોક્યુમેન્ટ આપી 24.50 લાખની ઠગાઈવાસણામાં રહેતા અને કન્સલ્ટન્ટનો ધંધા કરતા નિરવભાઇ શાહ સાથે વિઝાના નામે લાખોની છેતરપિંડી થઈ છે. નિરવભાઇએ તેમના એક ગ્રાહક કૃપાબેન પટેલના યુકે વિઝા માટે નડિયાદના ક્રિશ ઓવરસીસના અર્પણ મધુકર અને અમિત પટેલનો સંપર્ક કર્યો હતો. વિઝા પ્રક્રિયા માટે નિરવભાઇએ બંનેને કુલ રૂ. 24.50 લાખ ચૂકવ્યા હતા. જોકે, આ ઠગબાજોએ મોકલેલા વિઝા સર્ટિફિકેટ અને સીઓએસ (C.O.S) લેટરમાં ગ્રાહકની શૈક્ષણિક વિગતો ખોટી અને બનાવટી હોવાનું માલૂમ પડ્યું હતું. રૂપિયા પરત માંગવા છતાં ઠાગાઠૈયા કરતા હોવાથી નિરવભાઇએ બંને શખ્સો વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મહીસાગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-2026 મુક્ત અને પારદર્શક માહોલમાં યોજાય તે માટે તૈયારીઓ ચાલી રહી છે. આ અંતર્ગત, જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અર્પિત સાગરે લુણાવાડાની પી.એન. પંડ્યા કોલેજ ખાતેના EVM સ્ટ્રોંગરૂમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત EVMની સુરક્ષા અને જાળવણી સુનિશ્ચિત કરવાના ભાગરૂપે હતી. કલેક્ટરે સ્ટ્રોંગરૂમની સુરક્ષા વ્યવસ્થા, 24x7 સીસીટીવી મોનિટરિંગ, પોલીસ બંદોબસ્ત અને ફાયર સેફ્ટી સહિતની આનુષંગિક વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે રાજ્ય ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ EVM મશીનોની સુરક્ષિત જાળવણી અને હેરફેર માટેના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવા નોડલ અધિકારીઓ અને સુરક્ષા કર્મીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. જિલ્લા ચૂંટણી તંત્ર માટે ચૂંટણી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા અને ચોકસાઈ જાળવવી એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ સમીક્ષા મુલાકાત દરમિયાન લુણાવાડા પ્રાંત અધિકારી ઉમેશ શાહ અને અન્ય સંબંધિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર જિલ્લાના માધવગઢ ગામે આજે એક હૃદયદ્રાવક દુર્ઘટનામાં સરકારી પ્રાથમિક શાળાની જર્જરિત દીવાલ પડતા કાટમાળ નીચે દબાઈ જવાથી 11 વર્ષીય બાળકનું મોત નિપજ્યું છે. મિત્રો સાથે ક્રિકેટ રમી રહેલા માસૂમ બાળક પર દીવાલ કાળ બનીને ત્રાટકતા સમગ્ર પંથકમાં શોકની લાગણી જન્મી છે, સાથે જ તંત્રની ઘોર બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું છે સમગ્ર મામલો?માધવગઢમાં રહેતા સૂર્યસિંહ રાઠોડનો પુત્ર રઘુનંદન (ઉં.વ. 11), જે તે જ શાળામાં ધોરણ 4 માં અભ્યાસ કરતો હતો, તે બપોરના સમયે તેના ત્રણ-ચાર મિત્રો સાથે જૂની અને જર્જરિત પ્રાથમિક શાળાના પટાંગણમાં ક્રિકેટ રમવા ગયો હતો. રમત દરમિયાન અચાનક શાળાની એક દીવાલ ધડાકાભેર ધરાશાયી થઈ હતી. જેમાં રઘુનંદન કાટમાળ નીચે દબાઈ ગયો હતો, જ્યારે અન્ય બાળકોનો આબાદ બચાવ થયો હતો. ગ્રામજનોએ કાટમાળ ખસેડી બાળકને બહાર કાઢ્યોદીવાલ પડવાનો અવાજ સાંભળીને દોડી આવેલા ગ્રામજનોએ તાત્કાલિક કાટમાળ ખસેડી રઘુનંદનને ગંભીર હાલતમાં બહાર કાઢ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરવામાં આવી છે. તંત્રની બેદરકારી સામે સવાલોઆ દુર્ઘટનાએ સરકારી તંત્રની ઢીલી નીતિને ખુલ્લી પાડી દીધી છે. શાળાનું બિલ્ડિંગ લાંબા સમયથી જર્જરિત જાહેર કરવામાં આવ્યું હતું. તંત્રએ બિલ્ડિંગ તોડી પાડવાની મંજૂરી આપી દીધી હતી અને અભ્યાસ માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરાઈ હતી. તેમ છતાં, ભયજનક બિલ્ડિંગને સમયસર તોડી પાડવામાં કે તેની આસપાસ રક્ષણાત્મક ફેન્સિંગ કરવામાં ન આવતા આ ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. સ્થાનિક પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
જામનગરના કાલાવડ તાલુકાના પીઠડીયા-1 ગામમાં 4 વર્ષ પહેલા પોતાના 2 માસૂમ બાળકોને કૂવામાં ફેંકીને મોતને ઘાટ ઉતારનાર માતાને અદાલતે કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. 2022માં ગુનો આચર્યોપીઠડીયા-1 ગામમાં ખેતમજૂરી કરતા શ્રમિક બદીયા પલાસની પત્ની ચકુબેન (ઉંમર 26) એ 17 ઓક્ટોબર 2022ના રોજ આ ખોફનાક પગલું ભર્યું હતું. આરોપી મહિલાએ પોતાના 5 વર્ષના પુત્ર દેવરાજ અને માત્ર 3 મહિનાની પુત્રી રીયાને ખેતરના કૂવામાં ફેંકી દીધા હતા. પાણીમાં ડૂબી જવાથી બંને બાળકોના કરૂણ મોત નીપજ્યા હતા. ઘટના બાદ મહિલા પણ લાપત્તા થઈ ગઈ હતી. જોકે, બીજા દિવસે કૂવામાં બાળકોના મૃતદેહ તરતા મળી આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી બાળકોની હત્યાના આરોપસર ચકુબેનની ધરપકડ કરી તેને જેલ હવાલે કરી હતી. અદાલતનો ચુકાદોઆ કેસ જામનગરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ ભારતી વાદીની ધારદાર દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ એસ.એમ. ક્રિષ્ટીએ આરોપી મહિલાને દોષિત જાહેર કરી હતી. અદાલતે માનવતાને શરમાવતી આ ઘટનામાં કડક વલણ અપનાવી મહિલાને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં આગામી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રેન્જ આઈ.જી. રાજેન્દ્રસિંહજી ચુડાસમાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કાયદો અને વ્યવસ્થા જાળવી ભયમુક્ત મતદાન સુનિશ્ચિત કરવાનો હતો. બેઠક પોલીસ ભવન, ઇણાજ ખાતે યોજાઈ હતી. આગામી 26મી એપ્રિલના રોજ યોજાનાર શાંતિપૂર્ણ મતદાન માટે જિલ્લામાં 15 ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત, દીવ નજીક ત્રણ વધારાની ચેકપોસ્ટ પણ કાર્યરત કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે ફૂટ પેટ્રોલિંગ ડ્રાઇવ પણ યોજવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના જાહેરનામાનું કડક અમલીકરણ કરવા માટે તમામ પોલીસ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આચારસંહિતા લાગુ થયા બાદ અત્યાર સુધીમાં 6 હજારથી વધુ વાહનોની તપાસ કરવામાં આવી છે અને પોલીસે 2100 જેટલા અટકાયતી પગલાં લીધા છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લામાં હથિયારના પરવાના ધરાવતા 90 ટકા જેટલા હથિયારો જમા કરાવી દેવામાં આવ્યા છે. પોલીસે જિલ્લામાં હિસ્ટ્રીશીટર, લિસ્ટેડ બુટલેગરો અને જુગારીઓ સામે પણ કાર્યવાહી કરી છે. ગીર સોમનાથ જિલ્લામાં 56 હિસ્ટ્રીશીટર અને 51 જુગારીઓ સામે અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો તેમજ મતદારો કોઈપણ જાતના ડર, ભય, લોભ કે લાભ વિના મુક્તપણે મતદાન કરી શકે તે માટે જરૂરી માર્ગદર્શન આપવાનો હતો. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા જયદીપસિંહજી જાડેજા સહિત ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ અને પોલીસ વિભાગના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ SOGએ 13 વર્ષથી વોન્ટેડ ગુનેગાર ઝડપ્યો:અનિલ યાદવ 35 ગુનામાં સામેલ હતો, વાપીમાંથી પકડાયો
વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ 13 વર્ષથી નાસતા ફરતા રીઢા ગુનેગાર અનિલ બિંદેશ્વર યાદવને ઝડપી પાડ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ SOG ટીમે આ કાર્યવાહી કરી હતી. આરોપી વાપી ટાઉન પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો અને તેની સામે કુલ 35 ગુના નોંધાયેલા છે. SOGના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. વાય.પી. હડીયા અને એસ.આર. સુસલાદેની ટીમ કાર્યરત હતી. હેડ કોન્સ્ટેબલ પ્રમોદ શાલીગ્રામ અને હસમુખ ગીગાભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે, આરોપી અનિલ યાદવને વાપી ચલા પોલીસ ચેકપોસ્ટ પાસે સાગાકાસા બિલ્ડિંગની સામે રોડ પરથી પકડી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલ આરોપી અનિલ બિંદેશ્વર યાદવ (ઉંમર 47) મૂળ બિહારના જહાનાબાદનો વતની છે અને હાલ દમણના દાભેલ વિસ્તારમાં રમેશભાઈની ચાલીમાં છુપાઈને રહેતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેની સામે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને IPC કલમ 465, 467 હેઠળ છેતરપિંડી સહિતના કુલ 35 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત, વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ પણ એક અન્ય ઓપરેશનમાં સફળતા મેળવી છે. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના 7 વર્ષ જૂના ગુનામાં નાસતા ફરતા આરોપી બીપીન રામપ્રતાપ યાદવ (ઉંમર 29) ને ભિલાડના નાહુલી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને સેલવાસમાં રહેતો હતો.
મોરબી જિલ્લાના આમરણ (ડાયમંડનગર) ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં એક ચૂંટણી સભા યોજાઈ હતી. આ સભામાં સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપ સરકારના વિકાસ કાર્યોની પ્રશંસા કરી હતી. સંઘવીએ જણાવ્યું કે આઝાદીના લડવૈયાઓએ સારા રોડ-રસ્તા, વીજળી અને આરોગ્ય સેવાઓ જેવા અનેક સપના જોયા હતા. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના શાસન દરમિયાન લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે આ સપના પૂરા કર્યા છે. તેમણે ગામડાઓ સુધી વીજળી પહોંચાડવા અને આયુષ્માન કાર્ડ દ્વારા ૧૦ લાખ રૂપિયા સુધીની આરોગ્ય સારવાર જેવી સુવિધાઓનો ઉલ્લેખ કર્યો. સંઘવીએ ખાસ કરીને રોડ-રસ્તાના વિકાસ પર ભાર મૂક્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ સભામાં ઉપસ્થિત વડીલોને પૂછ્યું કે કોંગ્રેસના શાસનમાં આમરણથી મોરબી જવામાં કેટલો સમય લાગતો હતો, જેના જવાબમાં દોઢથી બે કલાકનો સમય મળ્યો હતો. તેમણે કહ્યું કે આજે ભાજપ સરકારે બનાવેલા ઉત્તમ રોડને કારણે આ પ્રવાસ માત્ર અડધાથી પોણા કલાકમાં પૂર્ણ થાય છે. તેમણે કટાક્ષ કર્યો કે આ વિકાસ કોંગ્રેસને દેખાતો નથી. આ સભા મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતની બગથળા, આમરણ અને ખાનપર બેઠકો તેમજ તેની નીચે આવતી તાલુકા પંચાયતની બેઠકોના સભ્યો માટે પ્રચાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા અને ધારાસભ્ય દુર્લભજી દેથરિયા સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સાબરકાંઠાના હિંમતનગરની મુલાકાત લીધી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તેમણે હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરોનું અભિવાદન ઝીલ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ તલોદ તાલુકાના રણાસણ રોડ થઈને હિંમતનગરમાં પ્રવેશ્યા હતા. તેમણે મહેતાપુરા ખાતે વોર્ડ નંબર 1માં કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું. તેમની ઉપસ્થિતિમાં વિસ્તારના 20થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ વિવિધ સમાજના અગ્રણીઓએ તેમને ચોપડા ભેટ આપ્યા હતા. આ ઉપરાંત, મુખ્યમંત્રીએ હિંમતનગરના ઉમિયા વિજય ટીપી રોડ પર વડગામના પૂર્વ ધારાસભ્ય મણી વાઘેલા અને પાલિકાના ઉમેદવાર અમૃત પુરોહિત સહિત સ્થાનિકો સાથે મુલાકાત કરી હતી, જ્યાં તેમનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ મારુતિનગર વિસ્તારમાં નરનારાયણ સ્વામિનારાયણ મંદિરે સહકારી આગેવાનો અને વિવિધ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી હડિયોલ રોડ પર આયોજિત વિકાસ સંકલ્પ સભામાં પહોંચ્યા હતા. અહીં તેમણે રાજ્ય સરકારે કરેલા વિકાસકામોની વાત રજૂ કરી હતી. તેમણે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ભાજપના ઉમેદવારોને જંગી મતોથી વિજયી બનાવવા માટે વધુ મતદાન કરીને કમળને મત આપવાની અપીલ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની ટૂંકી મુલાકાત દરમિયાન કાર્યકરોને જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જંગી મતે વિજયી બનાવવા માટે મતદારોનો સતત સંપર્ક કરવા પણ અપીલ કરી હતી. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, જિલ્લા પ્રમુખ કનુ પટેલ, મહામંત્રી બિપિન ઓઝા, પ્રેમલ દેસાઈ, સિદ્ધાર્થ પટેલ, ઘનશ્યામસિંહ ભાટી, શંભુ ભટ્ટ, અનિરુદ્ધ સોરઠીયા, વોર્ડ નંબર 1ના ઉમેદવાર ગોપાલસિંહ રાઠોડ, ગાયત્રીબેન વાળંદ, તેજલ રાવલ, સાવના ડોડીયાર સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
હાલમાં રાજ્યભરમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ માર્કેટ યાર્ડમાં સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. એક તરફ સરકાર ખેડૂતોને પૂરતા ભાવ આપવાની વાતો કરે છે, તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર 'લાલ દાણો' કે 'કારો દાણો' હોવાનું કારણ ધરીને ખેડૂતોનો પરસેવો રિજેક્ટ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે વહીવટી તંત્ર દ્વારા ગુણવત્તાના માપદંડોમાં ભારે પક્ષપાત કરવામાં આવી રહ્યો છે. ચાલુ વર્ષે ખેતી પર કુદરતની વક્રદૃષ્ટિ રહી છે. માવઠું અને અકાળે વરસાદ અને અતિશય ઝાકળને કારણે ઘઉંના પાકની ગુણવત્તા પર અસર પડી છે. ખેડૂતોનું કહેવું છે કે ઘઉંનો રંગ બદલાવો એ કુદરતી પ્રક્રિયા છે. આ કોઈ ફેક્ટરીમાં બનતી પ્રોડક્ટ નથી કે જેમાં ભેળસેળ કરી શકાય.જ્યારે કુદરતી આફતને કારણે આખું રાજ્ય પ્રભાવિત હોય, ત્યારે વહીવટી તંત્રએ ગુણવત્તાના જડ નિયમોમાં છૂટછાટ આપવી જોઈએ તેવી માંગ ઉઠી છે. પાડોદર ગામના રહેવાસી અશ્વિનભાઈ હાલાભાઈ ગરેજા પોતાની વ્યથા ઠાલવતા જણાવે છે કે હું અંદાજે 12 થી 13 ખાંડી જેટલા ઘઉં લઈને યાર્ડમાં આવ્યો હતો. મેં ઘઉંનું વ્યવસ્થિત સાફ-સફાઈ પણ કરાવ્યું હતું. તેમ છતાં અધિકારીઓએ 'લાલ દાણો' હોવાનું બહાનું કાઢી મારો માલ સ્વીકારવાની ના પાડી દીધી છે. મેં બે-બે વાર સેમ્પલ આપ્યા પણ પરિણામ એનું એ જ છે. આશ્ચર્યની વાત એ છે કે બીજા ખેડૂતોના ઘઉં તોલાઈ રહ્યા છે, જ્યારે મારો સારો માલ રિજેક્ટ થયો છે. ખેતરેથી અહીં સુધી માલ લાવવામાં મને 10 હજારનો ખર્ચ થયો છે, હવે મારે શું કરવું ? નુનાડા ગામના ખેડૂત જકુભાઈ નાથાભાઈ નંદાણીયાએ ખરીદી પ્રક્રિયામાં ચાલતી વિસંગતતા પર પ્રહાર કરતા કહ્યું કે, અત્યારે માર્કેટમાં ભારે અંધેર નગરી જેવી સ્થિતિ છે. જે માલ ખરેખર નબળો છે તેની ખરીદી થઈ રહી છે અને જે સારો માલ છે તેને રિજેક્ટ કરાય છે. માવઠું અને ઝાકળને કારણે ઘઉંમાં કાળો દાણો પડવો સ્વાભાવિક છે. સરકાર અને નિગમ આ બધું જાણે જ છે. ખેતરેથી માલ લાવવાનો ખર્ચ 8 થી 15 હજાર રૂપિયા થાય છે. આટલા ખર્ચ પછી જો માલ રિજેક્ટ થાય તો ખેડૂત ક્યાં જાય? અમારી માંગ છે કે કાં તો દરેકનો માલ લેવાય અથવા નિયમોમાં પારદર્શિતા લાવવામાં આવે. માણેકવાડા ગામના જગદીશભાઈ જેસબાઈ સોનારા તંત્ર સામે રોષે ભરાયા છે. તેમણે જણાવ્યું કે, મેં ઘઉં સાફ કરાવીને લાવ્યા હોવા છતાં રિજેક્ટ કરાયા છે. મારાથી નબળા ઘઉં અહીં તોલાઈ રહ્યા છે, આ સીધો અન્યાય છે. આ સરકારની નબળાઈ છે કે ખેડૂતોને રઝળાવવામાં આવે છે. ટ્રેક્ટરનું ભાડું અને મજૂરી પેટે મેં ₹15,000 ખર્ચ્યા છે. અહીં 100 જેટલા ખેડૂતો અત્યારે હાજર છે જેઓ આ જ અન્યાય સામે લડી રહ્યા છે. વહીવટી તંત્રએ નાનો-મોટો ભેદભાવ રાખ્યા વગર દરેક ખેડૂતનો માલ તોલવો જોઈએ. એક સામાન્ય ખેડૂત જ્યારે યાર્ડમાં આવે છે ત્યારે તેની પાછળ હજારો રૂપિયાનું ભાડું, મજૂરી અને સાફ-સફાઈનો ખર્ચ લાગેલો હોય છે. આર્થિક ભીંસમાં રહેલો ખેડૂત જ્યારે આશા સાથે ટેકાના ભાવે વેચવા આવે છે અને ત્યાંથી નિરાશા મળે, ત્યારે તેની માનસિક સ્થિતિ અત્યંત કફોડી બની જાય છે. ખેડૂતોની એક જ માંગ છે કે નિયમોના નામે હેરાન કરવાનું બંધ કરો અને કુદરતી પરિસ્થિતિને સમજીને ખરીદીમાં પારદર્શિતા લાવો.ત્યારે તંત્ર આ મામલે ક્યારે જાગશે અને ખેડૂતોને ન્યાય આપશે તે હવે જોવાનું રહ્યું.
દુનિયા જ્યારે યુદ્ધની આગમાં ધખધખી રહી છે, ત્યારે અમેરિકામાં સન્નાટો છે. નાસાથી લઇને લોસ એલામોસની ન્યૂક્લિયર લેબ સુધી સુનકાર છે. આ સુનકાર છે ન્યૂક્લિયર સાયન્ટિસ્ટના ગુમ થવાનો અને રહસ્યમય રીતે મોત થવાનો. છેલ્લાં બે વર્ષમાં 10 જેટલા ટોપ સાયન્ટિસ્ટ અચાનક ગાયબ થઈ ગયા છે. કોઈને કાનોકાન ખબર પણ ન પડી! કોઈ પાકીટ છોડી ગયું, કોઈનો મોબાઈલ ફેક્ટરી રીસેટ કરી દેવાયો, તો કોઈ ચશ્મા ભૂલી ગયું. યુદ્ધના આ માહોલ વચ્ચે આ સમાચારે આખા અમેરિકાને ફફડાવી નાખ્યું છે. જ્યારે આ બધુ ચાલી જ રહ્યું હતું એવામાં ઈઝરાયલ અને લેબનોનની દાયકાઓ જૂની દુશ્મની દોસ્તીમાં ખપાવાઈ અને 10 દિવસનો યુદ્ધ વિરામ કરાવ્યો. આટલું તો હજુ ઠીક હતું ને ટ્રમ્પ બોલી ઉઠ્યા કે હું પાકિસ્તાન જઈશ. યુદ્ધની શતરંજમાં શું ચાલી રહ્યું છે આજે આપણે તેની વાત કરીશું. નમસ્કાર... અમેરિકાની નેશનલ સિક્યોરિટી સાથે જોડાયેલી એકદમ સેન્સિટિવ લેબોરેટરીમાં કામ કરતા 10 વૈજ્ઞાનિકો ગાયબ થઈ ગયા છે અથવા કોઈનું શંકા ઉભી કરે તેવી રીતે મોત થયું છે. 15 એપ્રિલે અમેરિકન વાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટ પત્રકારોના સવાલોના જવાબ આપી રહ્યા હતા ત્યારે તેમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો. ગાયબ વૈજ્ઞાનિકો સ્પેસ કે ન્યૂક્લિયર મિશન સાથે જોડાયેલા સ્વાભાવિક છે કોઈ પણ આવા ગંભીર સવાલો વિશે તાત્કાલિક જવાબ આપવાનું ટાળે અને લીવિટે પણ એમ જ કર્યું. તેમણે કહ્યું કે જો આવું હોય તો આ ખૂબ જ ગંભીર વિષય છે મારે તપાસ કરીને જવાબ આપવો પડશે. પણ સવાલ થાય કોણ ક્યાંથી અને કેવી રીતે ગાયબ થયું છે? તો તેના જવાબ સાંભળશો તો ચોંકી જશો. આ બધા ઈન્સિડેન્ટમાં એક લિંક કોમન મળે છે એક તો તે અમેરિકન સરકાર માટે કામ કરતા હતા અને બીજું કે આ વૈજ્ઞાનિકો કાં તો ન્યૂક્લિયર ફ્યૂઝન, એડવાન્સ પ્રપલ્શન અથવા ખૂબ જ સિક્રેટ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. વિલિયમ નીલ મેકકેસલેન્ડ ગુમ થયા ત્યારે તેમનો પોન અને ચશ્મા તેમના ઘરે જ મળ્યા હતા. પ્રોફેસર નુનો લૌરેરોની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી હતી. આ મામલો અમેરિકાને મંદબુદ્ધિ કરવાનો આ બનાવો પર એક્સપર્ટ્સનું માનવું છે કે આ કામ કોઈ ગેંગનું નહીં પણ અમેરિકાની નેશનલ લેવલની ઈન્ટેલિજન્સ ઓર્ગેનાઈઝેશન્સને ટાર્ગેટ કરવા માટેનું કામ છે. પૂર્વ FBI અધિકારી ક્રિસ સ્વેકર અને સાંસદ ટિમ બર્ચેટનું તો ત્યાં સુધી કહેવું છે કે આ ચીન રશિયા કે ઈરાનનું કામ છે. જે હશે તો પૂરી તપાસ બાદ જ ખબર પડશે કારણ કે અમેરિકા જેવા શક્તિશાળી દેશના સિક્રેટ પ્રોજેક્ટ્સ પર કામ કરતા બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો રાતો-રાત ગાયબ થઈ જાય કે તેમને પતાવી દેવામાં આવે તે બહુ મોટી અને અતિ ગંભીર વાત છે. ગૂમ કે મોત થયાની કોમન કડી એક વાત અહીં જોવા મળે છે કે મોટાભાગના સાયન્ટિસ્ટ સ્પેશિયલ એક્સેસ પ્રોગ્રામ્સમાં કામ કરતા હતા. આ એવા પ્રકારના પ્રોગ્રામ્સ હોય છે જેના બજેટ પણ જાહેર નથી કરવામાં આવતા. તો વિચારો આ કેટલા સિક્રેટ મિશન હશે જેમાં આ વૈજ્ઞાનિકો કામ કરતા હશે. આ બનાવોમાં મોનિકા રેઝા અને મેલિસા કાસિયાસના કિસ્સામાં બંનેના ફોન ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તે ફેક્ટરી રિસેટ કરેલા મળી આવ્યા હતા. ટૂંકમાં કોઈ ડેટા જાહેરમાં ન આવે તેવો અમેરિકાના દુશ્મનનો કે અમેરિકાના અંદરના માણસનો પ્લાન હોઈ શકે. આના પર અમુક એક્સપર્ટ્સનું કહેવું છે કે આ વૈજ્ઞાનિકો એવા ખુલાસા કરવાના હતા જે હાલના નેતાઓને ગમે નહીં તેવા હતા. ખાસ કરીને ન્યૂક્લિયર ફ્યુઝન પરનું તેમનું કામ કોઈના માટે ખતરો બની રહ્યું હતું. ગાયબ થયા પહેલા મગજ થયું હેંગ વિલિયમ મેકકેસલેન્ડે આલ્બુકર્કમાંથી ગુમ થયા પહેલા મેન્ટલ ફોગની પણ ફરિયાદ કરી હતી. એક્સપર્ટ્સનું માનવું છે કે આ ત્યારે થાય છે જ્યારે કોઈ ડાયરેક્ટ એનર્જી વેપન કે માઈક્રોવેવ વેપન્સ આસપાસ કામ કરતું હોય. મેન્ટલ ફોગ થાય ત્યારે માણસ પોતાની વિચારવાની શક્તિ ખોઈ બેસે છે અથવા તેની વિચારવાની કેપેસિટીને કાબૂમાં કરી શકાય છે. તેઓ વર્ષ 2013માં નિવૃત થયા હતા અને સ્પેસ રિસર્ચની મોટી પોઝિશન પર કામ કરી ચૂક્યા હતા. વિલિયમ મેકકેસલેન્ડેનું નામ હિલેરી ક્લિન્ટનના કેમ્પેઈન ચેરમેન જોન પોડેસ્ટાના ઈમેઈલ્સના વિકિલીક્સ ડમ્પમાં દેખાયું હતું. જેમાં ટોમ ડોલોન્જ નામના વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેમણે યુએફઓ એટલે કે એલિયન્સનું સ્પેશ શટલ જોયું હતું. 27 ફેબ્રુઆરીએ જનરલ મેકકેસલેન્ડ જ્યારે ગાયબ થયા, ત્યારે તેમની પત્નીએ 911 ઇમરજન્સી હેલ્પલાઈન પર કરેલો કોલ સૌથી મોટો પુરાવો છે. તેમણે ધ્રૂજતા અવાજે કહ્યું હતું કે, મારા પતિ અત્યારે પોતાને કોઈનાથી છુપાવવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ પોતાની સાથે માત્ર પિસ્તોલ લઈ ગયા હતા. શું વૈજ્ઞાનિકને એલિયન્સ ઉઠાવી ગયા? રિટાર્યડ જનરલ જ્યારે ગાયબ થયા ત્યારે તેમનો ફોન, ચશ્મા અને પર્સનલ ડિવાઈઝ ઘરે જ છોડી ગયા હતા. અહીં પોલીસને એક વાત ચોંકાવનારી લાગી હતી કે જનરલનું વોલેટ, પહાડ ચઢવાવાળા હાઈકિંગ બૂટ અને રિવોલ્વર ગાયબ હતા. વિલિયમ નીલ મેકકેસલેન્ડના પત્નીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમના પતિ એલિયન્સ સાથે વાત કરી શકતા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે આવી કોઈ જ વાત નથી. મોતની અનસોલ્વ્ડ ગુથ્થી લિસ્ટમાં એક નામ એવું પણ છે જેનું મોત હજુ પણ વણઉકેલ્યું છે, નામ છે માઈકલ ડેવિડ હિક્સ. તેઓ નાસાના DART મિશન એટલે કે લઘુગ્રહોનો રસ્તો બદલવાની ટેકનોલોજી પર કામ કરતા હતા. આ એવી ટેકનોલોજી છે જેનો ઉપયોગ દુશ્મન દેશની મિસાઈલોને હવામાં જ ગાયબ કરવા માટે પણ થઈ શકે છે. 59 વર્ષની ઉંમરે તેમની અચાનક અને અજાણ્યા કારણોસર થયેલી મોતે અનેક સવાલો ઉભા કર્યા છે. મહિલા સાયન્ટિસ્ટ મેલિસાની મર્ડર મિસ્ટ્રી! હવે વાત કરીએ ગયા વર્ષે 26 જૂનથી ગાયબ થયેલાં મલિસા કાસિયાસની. તેમને લોસ એલામોસ નેશનલ લેબોરેટરીમાં સિક્યોરિટી ક્લિયરન્સ મળ્યું હતું. મલિસા ગાયબ થયા તે કામ માટે નીકળી રહ્યા હતા અને ઘરે પાછા આવ્યા હતા કારણ કે તે પોતાનો બેજ ભૂલી ગયા હતા. જો કે ત્યાર બાદ તે કામ પર પણ નહોતા ગયા અને ઘરેથી પણ કામ નહોતું કર્યું. છેલ્લે તે પોતાના પાડોશીના કેમેરામાં બપોરે સવા બે વાગ્યે ન્યૂ મેક્સિકોની ગલીઓમાં એકલા ચાલતા જોવા મળ્યા હતાં. જ્યારે તેમના દીકરી ઘરે આવ્યા ત્યારે મલિસાનું પર્સ, ચાવી, પાકિટ અને કાર ઘરે જ હતું. મલિસાના પોતાના અને તેમના કામન સરકારી ફોનમાં ફેક્ટરી રીસેટ ડેટા કરી દેવાય હતા. બધી જ માહિતી ગાયબ કરી દેવાઈ હતી. પોલીસને માટીવાળા, લોહીવાળા બૂટ મલિસાના બેડરૂમમાં જોવા મળ્યા હતા. મલિસાને સેફ રીતે સરકારને સોંપનારને 5 હજાર ડોલર આપવાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. ચાવેઝની ગાયબ થવાની મિસ્ટ્રી 78 વર્ષના નિવૃત ન્યુક્લિયર એક્સપર્ટ એન્થોની ટોની ચાવેઝ પણ મે 2025થી ગાયબ છે. તેઓ લોસ એલામોસ લેબમાં સિક્રેટ પ્રોજેક્ટસ પર કામ કરતા હતા. ચાવેઝની ચાવી, ફોન અને વોલેટ પણ તેમના ટેબલ પર જ મળી આવી હતી પણ તેઓ ગાયબ હતા. ઘરે પણ કોઈ ફાઈટિંગ થઈ હોય એવા પૂરાવા નથી મળ્યા. છેલ્લીવાર તેઓ 4 મે 2025ના રોજ ન્યૂ મેક્સિકોની ડેનવર સ્ટીલ્સમાં જોવા મળ્યા હતા. તેઓ મલિસાથી થોડી ઉંચી પોસ્ટ પર કામ કરતા હતા. વૈજ્ઞાનિકની બોડી તળાવમાં, ફોન-વોલેટ ઘરે હવે વાત કરીએ જેસન થોમસની. તે નોવાર્ટિસમાં કેમિકલ બાયોલોજીના એસોસિએટ ડાયરેક્ટર તરીકે કામ કરતા હતા. ડિસેમ્બર 2025થી તે ગાયબ હતા અને માર્ચ 2026માં તેમની ડેડબોડી તળાવમાંથી મળી હતી. તેમના ફોન અને વોલેટ પણ ઘરે મળી આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે થોમસે સ્યૂસાઈડ કર્યું છે પણ ફેડરલ તપાસ થાય તો ટાર્ગેટેડ કિલિંગ હોઈ શકે છે તેવું થોમસના પરિવારનું માનવું છે. વર્લ્ડ ફેમસ વૈજ્ઞાનિકનું મોત પણ પોસ્ટમોર્ટમ જ ન કરાયું? હવે વાત કરીએ ફ્રેન્ક માઈવાલ્ડની. અમેરિકન સ્પેસ કંપની નાસાના જેટ પ્રપોલ્શન લેબોરેટરીમાં ફ્રેન્કે 25 વર્ષ કામ કર્યું હતું. તે સ્પેસમાં લાઈફ શોધવાની ટેક્નોલોજી અને એડવાન્સ સેન્સર્સના વર્લ્ડ ફેમસ એક્સપર્ટ હતા. 4 જુલાઈ 2024ના તેમનું મોત થયું હતું પણ એવી વાતો છે કે તેમનું ક્યારેય પોસ્ટમોર્ટમ જ નથી કરવામાં આવ્યું. USના ન્યૂક્લિયર રિસર્ચને ઝટકો MITમાં પ્રોફેસર અને પ્લાઝમા સાયન્સ એન્ડ ફ્યુઝન સેન્ટરના ડાયરેક્ટર નુનો લૌરેરોને તેમના જ ઘરે 15 ડિસેમ્બર 2025માં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. તેઓ પ્લાઝ્મા ફિઝિક્સ અને ન્યુક્લિયર ફ્યુઝનમાં એક્સપર્ટ હતા. નુનોને સ્પાર્ક નામનો એક પ્રોજેક્ટ સોંપવામાં આવ્યા હતો. તેમના જવાથી અમેરિકાના ન્યુક્લિયર રિસર્ચ મિશનને મોટો ફટકો પડ્યો છે. અમેરિકાના મંગળ મિશનને ફટકો એક્સોપ્લેનેટ સંશોધન કાર્લ ગ્રિલમેરની વાત કરીએ તો 16 ફેબ્રુઆરી 2026ના તેમને ગોળી મારી દેવામાં આવી હતી. કાર્લ કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના મોટા રિસર્ચર અને પહેલા એક્ઝોપ્લેનેટ એક્સપ્લોર હતા. તેમણે સોલર સિસ્ટમના બહારના એક ગ્રહના વાતાવરણમાં પાણીની વરાણ શોધી હતી. તારાઓ વિશે ડાર્ક મેટરમાં રિસર્ચ કરીને તેમને સ્ટ્રીમ કિંગનું પણ ખિતાબ મળ્યું હતું. વર્ષ 2011માં કાર્લને નાસાનો મેડલ પણ આપવામાં આવ્યો હતો. કાર-પાકિટ-મોબાઈલ મળ્યા, માણસ ગાયબ 28 ઓગસ્ટ 2025થી સ્ટીવન ગાર્સિયા પણ ગાયબ છે. છેલ્લે તે મેક્સિકોના અલ્બુકર્કમાં હેન્ડગન લઈને ચાલતા જોવા મળ્યા હતા. તેમનું પણ વાહન, પાકિટ અને મોબાઈલ ઘરેથી જ મળી આવ્યા હતા. ગાર્સિયા કાન્સાસ સિટી નેશનલ સિક્યુરિટી કેમ્પસમાં કોન્ટ્રાક્ટર પર કામ કરતા હતા, જે અમેરિકાના ન્યૂક્લિયર હથિયારોના 80% થી વધુ ન્યૂક્લિયર બ્રેઈન બનાવે છે. તેમની પાસે અમેરિકાની ન્યૂક્લિયર શક્તિ વિશે સિક્રેટ માહિતીઓ હતી. વૈજ્ઞાનિકના ફોન સલામત પણ ડેટા ડિલિટ એરોસ્પેસ એન્જિનિયર મોનિકા જેસિન્ટો રેઝાની વાત કરીએ તો 22 જૂન 2025થી તેઓ પણ ગાયબ છે. તેમણે નાસાની જેટ પ્રપલ્શન લેબમાં 20 વર્ષ કામ કર્યું. આ કેસમાં સૌથી મોટો પુરાવો છે કે તેમના ડિજિટલ પુરાવા મળ્યા છે. રેઝા કેલિફોર્નિયાના જંગલોમાં હાઈકિંગ કરવા ગયા હતા અને ત્યારથી ગાયબ છે. રેઝાના ફોન પર્સનલ અને સરકારી ફોન પણ ફેક્ટરી રિસેટ કરેલા તેમના ઘરેથી જ મળ્યા હતા. મોબાઈલમાં એક એક ડેટા હટાવી દેવામાં આવ્યો હતો. રેઝા સ્પેસ એક્સપ્લોર કરવા માટે એડવાન્સ મટિરિયલ બનાવવામાં માહેર હતા. ગાયબ થયેલા મોનિકા રેઝા જે ધાતુ પર કામ કરતા હતા, તે મૌન્ડાલૉય ભવિષ્યના રોકેટ એન્જિન માટે ખૂબ જ ક્રાંતિકારી મનાય છે. આ પ્રોજેક્ટની ફંડિંગની દેખરેખ જનરલ મેકકેસલેન્ડ કરતા હતા. આ બંનેનું એકસાથે ટાર્ગેટ થવું મોટા સવાલો ઉભા કરે છે. વૈજ્ઞાનિકો ગાયબ થવાથી અમેરિકાને નુકસાન કાર્લ ગ્રિલમેયર જેવી વ્યક્તિની હત્યાથી અમેરિકાની મિસાઈલ ટ્રેકિંગ અને ડાર્ક સેટેલાઈટ ડિટેક્શન ટેક્નોલોજીમાં મોટું ગાબડું પડ્યું છે. મોનિકા રેઝાના ગુમ થવાથી મંગળ મિશન માટેની ન્યૂક્લિયર થર્મલ પ્રોપલ્શન ટેક્નોલોજી અટકી પડી છે. નુનો લૌરેરોના જવાથી ન્યુક્લિયર ફ્યુઝનથી સસ્તી એનર્જી મેળવવાનું સપનું કદાચ પાછળ ધકેલાઈ શકે છે. સીઝફાયરની શરતો ને અમેરિકાનો ખેલ હવે આપણે વાત કરીએ અમેરિકા-ઈરાન યુદ્ધની. ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ અને લેબનોન વચ્ચે 10 દિવસ સીઝફાયરની વાત કરી. એટલે કે આ બંને દુશ્મન દેશો એકબીજા પર હુમલા નહીં કરે. એક્સપર્ટ્સનું કહેવું છે કે અમેરિકાએ આવું એટલા માટે કરાવ્યું કારણ કે 21 એપ્રિલ 2026ના અમેરિકા અને ઈરાનની લગભગ પાકિસ્તાનમાં યુદ્ધ રોકવા મીટિંગ થઈ શકે છે. અગાઉ મીટિંગ થઈ તેના પહેલા ઈઝરાયલે લેબનોનમાં હુથીઓ પર હુમલા કર્યા ત્યારે ઈરાને કહ્યું હતું કે હિંસા અને અહિંસા એકસાથે નહીં ચાલે. લેબનોન પર ઈઝરાયલ હુમલા બંધ કરશે તો જ અમે અમેરિકા સાથે વાતચીત કરવા ટેબલ પર બેસીશું. બની શકે કે ઈરાનને રીઝવવા માટે એક પ્રકારનું આ અમેરિકાનું ટેક્ટિક પણ હોઈ શકે. હિઝબુલ્લાહની કરો યા મરોના હાલ લેબનોન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ રોકવા અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ મીટિંગ કરાવી હતી. જેમાં ત્રણ વાતો સામે આવી છે. એક કે 10 દિવસ સુધી કોઈ પણ મિલિટરી કાર્યવાહી નહીં થાય અને બીજું કે લેબનોનમાં માત્ર આર્મી જ હથિયારો રાખી શકશે. હિઝબુલ્લાહ આર્મી નથી માટે તેમને હથિયાર હેઠા મૂકવા પડશે. મૂકશે નહીં તે વાત અલગ છે. ત્રીજું કે ઈઝરાયલે સાઉથ લેબનોનમાં 10 કિલોમીટરનો બફર ઝોન રાખવો પડશે. આ મીટિંગ હિઝબુલ્લાહ માટે કરો કે મરો જેવી સ્થિતિ છે. આમ તો હિઝબુલ્લાહ સીધી રીતે કરારમાં નથી છતાં ઈરાનના દબાણમાં તેમને આને સ્વીકારવું પડ્યું છે. છેલ્લા 7 અઠવાડિયામાં 2 હજારથી વધુ મેમ્બર્સ ગુમાવ્યા પછી પણ હિઝબુલ્લાહે 10 દિવસ શાંતિ રાખવી પડશે. હોર્મુઝમાં ડબલ નાકાબંધી ને મોંઘા તેલનો મારજો કે લેબનોન-ઈઝરાયલના સીઝફાયરના સમાચારથી હોર્મુઝના જલડમરુંમાં કોઈ ખાસ અસર જોવા નથી મળી. ઈરાને ફેબ્રુઆરીમાં હોર્મુઝનો દરિયાઈ રસ્તો બ્લોક કર્યો સામેની બાજુ અમેરિકાએ 13 એપ્રિલે ઈરાની બંદરોની નાકેબંધી કરી. ડબલ બ્લોકેજના કારણે રોજ જ્યાંથી ઘણા જહાજો પાસ થતાં હતાં ત્યાં આજે એકલ-દુક્કલ જહાજો જ નીકળી રહ્યા છે. આ નાકેબંધીના કારણે આજના દિવસે બ્રેન્ડ ક્રુડ ઓઈલનો ભાવ એક બેરલે 98 ડોલરને પાર છે. ઈરાનની ધમકી છે કે જો અમેરિકા પોતાના જહાજો નહીં હટાવે તો ઈરાન કાયમ માટે હોર્મુઝ બંધ કરી દેશે. પાકિસ્તાને ભારતનું ટેન્શન વધાર્યુંજ્યારે મિડલ ઈસ્ટમાં જંગની બંદૂકો શાંત પડી રહી છે ત્યારે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં પોલિટિકલ ગેમ રમાવાની તૈયારીઓ થઈ રહી છે. 21 એપ્રિલની સિઝફાયરની ડેડલાઈન પહેલા અમેરિકા પાકિસ્તાનને વચેટિયા તરીકે ઉભું રાખી રહ્યું છે. આમ તો ડોનાલ્ડ ટ્રમ્પની ફોરેન પોલિસી એક હાથ સે દો દૂજે સે લો જેવી રહી છે પણ પાકિસ્તાનનું આટલા મોટા ગ્લોબલ પ્લેટફોર્મ પર નામ આવે તે ભારત માટે ઊંઘ ઉડાડી દે તેવી વાત છે. હું ઈસ્લામાબાદ આવીશઃ ડોનાલ્ડ ટ્રમ્પપૂરી વાત એમ છે કે ટ્રમ્પ સરકાર અને ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા વાતચીત ચાલી રહી છે. જેમાં ન્યૂટ્રલ રહીને પાકિસ્તાન બંને દેશોના સંદેશાઓ કે શરતો એકબીજાને પહોંચાડી રહ્યું છે. આ માટે ટ્રમ્પે પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શન અસીમ મુનીરના પૂરી દુનિયા સાંભળે તેમ વખાણ કર્યા છે. ટ્રમ્પે કહ્યું હતું કે, જો ઈરાન ન્યુક્લિયર કન્સેશન આપે, તો હું પોતે ઇસ્લામાબાદ જઈશ. ભારત માટે આ બિલકુલ સારી વાત નથી કે પાકિસ્તાન અને અમેરિકા વધુ નજીક આવે. કારણ કે જો આવું થાય તો અમેરિકા પાકિસ્તાનની આજીજી પર આપણા હિતોને દબાવવા કોશીશ કરી શકે તેમ છે. ખાસ કરીને કાશ્મીર જેવા મુદ્દા પર જે ભારત બિલકુલ સહન ન કરે. અને છેલ્લે… તમને જાણીને આંચકો લાગશે પણ ભારત માટે આ બૌદ્ધિક હત્યાની પેટર્ન નવી નથી. આપણા દેશમાં પણ વર્ષ 2009થી વર્ષ 2013 વચ્ચે 11થી વધુ ન્યૂક્લિયર સાઈન્ટિસ્ટ રહસ્યમય રીતે કાં તો ગુમ થયા હતા અને કાંતો મોત થયા હતા. ભાભા એટોમિક રિસર્સ સેન્ટર અને કૈગ જેવા સેન્સેટિવ સેન્ટર્સ પર કામ કરતા એક્સપર્ટમાં કોઈની ડેડબોડી કાં તો નદીમાં મળી હતી કાં તો જંગલમાં, પણ અફસોસ આજની તારીખે પણ તેમના મોત કેવી રીતે થયા હતા અને કોણે કર્યા હતા તે કોઈ જાણી શક્યું નથી. અમેરિકામાં જે થયું તે ભારતે દાયકા પહેલા ભોગવ્યું છે. આ ગ્લોબલ ગેમ પાછળ કોણ હશે જે દુનિયાની પ્રોગ્રેસ રોકવા ઈન્ટેલિજન્ટ માઈન્ડનું મર્ડર કરતું હશે? સોમવારથી શુક્રવાર, રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું, નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)
રાજકોટ ABVP દ્વારા છેલ્લા 3 વર્ષથી GCASની ખામીઓને લઈને વારંવાર સરકારને રજુઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય નિરાકરણ પગલા લેવાયેલુ નથી. જેને લઈ રાજકોટમાં વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા આજે 17 એપ્રિલના કોટેચા સર્કલ ખાતે ઉગ્ર ધરણા પ્રદર્શન કરાયુ હતુ. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. જે દરમિયાન ABVP ઝિંદાબાદ અને ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા હતા. જોકે, ત્યાં હાજર પોલીસે ABVPના યુવાનોની સાથે યુવતીઓની પણ ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. વિદ્યાર્થીઓ પર લાદવામાં આવેલી ₹300ની ફી તાત્કાલિક ઘટાડવામાં આવેABVPના રાજકોટ મહાનગરના મંત્રી પુષ્પરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, GCAS પોર્ટલને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેમાં બે મુખ્ય માંગણીઓ છે. જેમાં GCAS પોર્ટલમાં તમામ ખાનગી યુનિવર્સિટીઓનો તાત્કાલિક સમાવેશ કરવામાં આવે તથા વિદ્યાર્થીઓ પર લાદવામાં આવેલી ₹300ની ફી તાત્કાલિક ઘટાડવામાં આવે. જ્યારે બહેનોને ફીમાંથી મુક્તિ આપવામાં આવે. જ્યાં સુધી અમારી માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમારો અલગ અલગ જગ્યાએ વિરોધ ચાલુ રહેશે. વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય નહીં લેવાય તો આંદોલન હાથ ધરાશેઆ ધરણા પ્રદર્શન દરમિયાન છાત્ર નેતાઓ દ્વારા GCAS પોર્ટલની અપૂર્ણતા, ગેરવ્યવસ્થા અને વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓ અંગે રાજ્ય સરકારની નિષ્ક્રિયતા સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તકે રાજકોટ મહાનગર મંત્રીએ ચેતવણી આપી હતી કે, જો વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગુજરાતના તમામ કેમ્પસ, યુનિવર્સિટીની બહાર વિદ્યાર્થીઓ રસ્તા પર આવી સરકાર સમક્ષ વધુ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે. ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.
ગાંધીનગર કલેક્ટર કચેરીમાં જમીન ફાળવણી શાખાના નાયબ મામલતદાર બિપીનચંદ્ર પરમાર અને તેમના વતી વહીવટ કરતા નિવૃત્ત પટાવાળા દિનેશ વાળંદને એસીબીએ રૂ. 4.50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ગાંધીનગર કોર્ટના પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે ગોઠવાયેલા છટકા દરમિયાન લાંચની રકમ સ્વીકારતા જ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. મકાનનું પ્રોપર્ટી કાર્ડ બનાવવા 9.50 લાખની લાંચ માંગી હતીએક જાગૃત નાગરિકે તેમના પરિચિતના મકાનનું પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી. આ કામમાં કોઈ ક્ષતિ ન કાઢવા અને સાનુકૂળ અભિપ્રાય આપવા માટે નાયબ મામલતદાર વતી નિવૃત્ત પટાવાળાએ રૂ. 9.50 લાખની માંગણી કરી હતી. રકઝક બાદ પ્રથમ હપ્તા તરીકે રૂ. 4.50 લાખ આપવાનું નક્કી થયું હતું. ફરિયાદીએ આ અંગે એસીબીને જાણ કરતા પી.આઈ. કે.કે. દેસાઈ અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું. ACBએ છટકું ગોઠવી લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યાકોર્ટ પાર્કિંગ પાસે ફરિયાદીની ગાડીમાં બેસી જ્યારે આરોપીઓએ હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી, ત્યારે જ એસીબીની ટીમે ત્રાટકીને બંનેને દબોચી લીધા હતા. એસીબીએ લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી છે અને હાલ બંને આરોપીઓના નિવાસસ્થાને સર્ચની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં આવક કરતા વધુ મિલકતો મળવાની શક્યતા છે. છેલ્લા પાંચ વર્ષમાં 12 કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયાગાંધીનગર કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં આ કચેરી અને તાબાની ઓફિસોના અંદાજે 12થી વધુ કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે. અગાઉ પણ નાયબ મામલતદાર અને ક્લાર્ક કક્ષાના અધિકારીઓ એસીબીની જાળમાં સપડાઈ ચૂક્યા છે. આ સફળ ઓપરેશન એ.કે. પરમાર અને હરેશ મેવાડાના સુપરવિઝન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું, જેનાથી ભ્રષ્ટ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ભરૂચના ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ. હાઈસ્કૂલ ખાતે તાલુકા-જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી-2026 માટે પોલિંગ સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમનું આયોજન મામલતદાર ભરૂચના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. આ તાલીમમાં પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર તરીકે નિયુક્ત અંદાજે 553 કર્મચારીઓએ ભાગ લીધો હતો. તેમને ચૂંટણી પ્રક્રિયા, ઈવીએમ મશીનના ઉપયોગ, મતદાન દરમિયાનની ફરજો અને આદર્શ આચાર સંહિતાના પાલન અંગે વિગતવાર માર્ગદર્શન અપાયું હતું. માસ્ટર ટ્રેનરો દ્વારા કર્મચારીઓને પ્રેક્ટિકલ સમજૂતી સાથે તાલીમ આપવામાં આવી હતી. આગામી ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે આવી તાલીમોને અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવે છે, જેથી ચૂંટણી કામગીરી પારદર્શક અને સુચારુ રીતે પાર પાડી શકાય. તમામ કર્મચારીઓએ આ તાલીમનો નિષ્ઠાપૂર્વક લાભ લીધો હતો.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને સુરક્ષા વ્યવસ્થાઓ ચુસ્ત બનાવી દેવામાં આવી છે. પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે રાજ્ય પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં આવી ગયું છે. પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યુંરાજ્ય પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવે ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે, જ્યારે મહત્વના મતદાન મથકો પર ખાસ નજર રાખવામાં આવશે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે તેમજ ક્વિક રિસ્પોન્સ ટીમો (QRT)ને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. મતદારો નિર્ભય અને સ્વતંત્ર રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે રાજ્ય પોલીસની પ્રથમ પ્રાથમિકતા હોવાનું જણાવતા ડીજીપી રાવે કહ્યું કે, “શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.” તમામ નાગરિકોને પણ શાંતિ જાળવવા અને સહકાર આપવા અપીલચૂંટણી દરમિયાન સુરક્ષાની દ્રષ્ટિએ ટેકનોલોજીનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા મોનિટરિંગ જેવી વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે. રાજ્ય પોલીસ દ્વારા તમામ નાગરિકોને પણ શાંતિ જાળવવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
અમદાવાદથી શેખ મોહમ્મદ ઇરફાન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્ય, રાજ્ય ચૂંટણી આયોગ અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન AIMIMને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. AIMIM પાર્ટી ગુજરાતમાં અમાન્ય રાજકીય પક્ષગુજરાત હાઇકોર્ટમાં AIMIM ગુજરાતના તમામ ઉમેદવારોના ઉમેદવારી પત્રો રદ કરવા ઇરફાન શેખ દ્વારા અરજી કરવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ AIMIM પાર્ટી ગુજરાતમાં અમાન્ય રાજકીય પક્ષ છે. ગુજરાતમાં 6% વોટ કે 3 MLA અથવા 1 MP આમ આ ત્રણ ચૂંટણી પંચના નિયમોમાંથી એક પણ નિયમનું પાલન AIMIM દ્વારા થયું નથી. અમાન્ય પક્ષો માટે 10 ટેકેદારો હોવા અનિવાર્યઆ અરજીમાં ગુજરાત સરકારના 22 માર્ચ, 2026 ના ગેઝેટ નોટિફિકેશનને પડકારવા માટે કરવામાં આવી છે. જેમાં અરજદારે દાવો કર્યો છે કે 22 માર્ચ, 2026 ના જાહેરનામામાં AIMIM ને માન્ય રાજકીય પક્ષ તરીકે ગણવામાં આવ્યો છે. માન્ય પક્ષ હોવાને કારણે તેના મહાનગર પાલિકાની વર્તમાન ચૂંટણીઓમાં ઉમેદવારોને માત્ર એક જ ટેકેદાર દ્વારા ફોર્મ ભરવાની છૂટ મળી રહી છે, જ્યારે કાયદા મુજબ અમાન્ય પક્ષો માટે 10 ટેકેદારો હોવા અનિવાર્ય છે. જાહેરનામું રદ કરવાની માંગઅરજદાર મુજબ AIMIM ગુજરાત રાજ્યમાં માન્ય રાજકીય પક્ષ બનવાના માપદંડો પૂર્ણ કરતું નથી. આથી આ જાહેરનામું ગેરબંધારણીય અને ભેદભાવયુક્ત હોવાનું જણાવી તેને રદ કરવાની માંગ કરવામાં આવી છે. અરજદારે હાઈકોર્ટને વિનંતી કરી છે કે રાજ્ય સરકારના 22 માર્ચ, 2026 જાહેરનામાને રદ કરવામાં આવે અને AIMIMને આ ચૂંટણી માટે માન્ય રાજકીય પક્ષ તરીકે ગણવામાં ન આવે.
બનાસકાંઠાના પાલનપુરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા એડમિશન ફી રદ કરવા સહિતની વિવિધ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ABVP કાર્યકરોએ કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને રજૂઆત કરી હતી. ABVP ની મુખ્ય માંગણીઓમાં સરકારના G-CAS પોર્ટલ પર લેવામાં આવતી ₹300 ની એડમિશન ફી રદ કરવી અને એડમિશન પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો પણ સમાવેશ કરવો તે હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન, ABVP ના કાર્યકરોએ રસ્તા પર સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે વિરોધ કરી રહેલા કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત બાદ પણ કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા.
હીરા અને જ્વેલરી ઉદ્યોગના વૈશ્વિક કેન્દ્ર એવા સુરતમાં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા ગત 13-14 એપ્રિલ, 2026 દરમિયાન વિશેષ 'સ્ટડેડ ડાયમંડ જ્વેલરી બાયર-સેલર મીટ'નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત 12 એપ્રિલે પ્રિવ્યૂ અને ઉદ્ઘાટન સત્ર સાથે થઈ હતી. આ આયોજનની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમાં રશિયા, અમેરિકા, બ્રાઝિલ, બલ્ગેરિયા, કોલંબિયા અને પોલેન્ડ જેવા શક્તિશાળી દેશોમાંથી કુલ 17 આંતરરાષ્ટ્રીય ખરીદદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ મંચ પરથી સુરતના વેપારીઓને વૈશ્વિક બજાર સાથે સીધા જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નેચરલ અને લેબગ્રોન ડાયમંડ પર વિશેષ ધ્યાનGJEPC સુરતના પ્રાદેશિક અધ્યક્ષ જયંતી સાવલીયાએ જણાવ્યું હતું કે, આ આયોજન પોતાની રીતે એક અનોખી પહેલ હતી. તે ખાસ કરીને સ્ટડેડ ડાયમંડ જ્વેલરી પર કેન્દ્રિત હતું, જેમાં નેચરલ (પ્રાકૃતિક) ડાયમંડની સાથે સાથે ઉભરતા લેબ-ગ્રોન ડાયમંડ સેગમેન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સુરતના 16 અગ્રણી પ્રદર્શકોએ પોતાની અદભૂત ડિઝાઇન્સ અને કારીગરી આ વિદેશી ડેલિગેશન સમક્ષ રજૂ કરી હતી. લેબ-ગ્રોન હીરાના વધતા વ્યાપ વચ્ચે સુરત કઈ રીતે વિશ્વને નેતૃત્વ પૂરું પાડી શકે છે, તેનું જીવંત ઉદાહરણ આ મિટિંગમાં જોવા મળ્યું હતું. પહેલીવાર 'પ્રોડક્ટ પ્રિવ્યૂ ડે' યોજાયોઆ આયોજનની એક ખાસ વિશેષતા ‘પ્રોડક્ટ પ્રિવ્યૂ ડે’ રહી હતી, જેનું આયોજન હોટેલ હિલ્ટન ઇન ખાતેના સોલિટેર બેન્ક્વેટ હોલમાં કરવામાં આવ્યું હતું. પ્રિવ્યૂ ડે દરમિયાન પ્રત્યેક પ્રદર્શકને સમર્પિત શોકેસ બૂથ ફાળવવામાં આવ્યા હતાં. આ વ્યવસ્થાને કારણે ખરીદદારો અને વેપારીઓ વચ્ચે આયોજનબદ્ધ સંવાદ થઈ શક્યો. આ કોન્સેપ્ટ પ્રથમ વખત અમલમાં મુકવામાં આવ્યો હતો, જેનાથી વિદેશી ડેલિગેટ્સને સુરતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અને પ્રોડક્ટ રેન્જની ઝલક એક જ છત નીચે મળી રહી હતી. DIC સુરતના જનરલ મેનેજર જે.બી. દવેએ આ પ્રસંગે ઉપસ્થિત રહી એક્ઝિબિટર કેટલોગનું અનાવરણ કર્યું હતું. હીરા જડવાની પ્રક્રિયા,અત્યાધુનિક ટેકનોલોજીને વિદેશીઓને નજીકથી નિહાળીમાત્ર હોલ પૂરતી મર્યાદિત ન રહેતા, આ ઈવેન્ટનું મુખ્ય આકર્ષણ ફેક્ટરી વિઝિટ રહી હતી. 13 અને 14 એપ્રિલના રોજ આયોજિત આ વિઝિટમાં આંતરરાષ્ટ્રીય ખરીદદારોને સુરતની આધુનિક મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં લઈ જવામાં આવ્યા હતાં. દરેક વાહનમાં બે આંતરરાષ્ટ્રીય કંપનીઓના પ્રતિનિધિઓને રાખવામાં આવ્યા હતા, જેમણે દિવસ દરમિયાન 8 જેટલી ફેક્ટરીઓની મુલાકાત લીધી હતી. આ પદ્ધતિથી બે દિવસમાં કુલ 16 ફેક્ટરીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું. અહીં વિદેશી મહેમાનોએ હીરા જડવાની પ્રક્રિયા, ગુણવત્તા નિયંત્રણ અને સુરતમાં વપરાતી અત્યાધુનિક ટેકનોલોજીને નજીકથી નિહાળી હતી. 'રશિયા-બ્રાઝિલના પ્રતિનિધિઓએ વેપારીઓ માટે નવા દ્વાર ખોલ્યા'GJEPCના ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વીનર વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા દાયકામાં ભારતના કુલ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટમાં જ્વેલરીનો હિસ્સો સતત વધી રહ્યો છે. આવી બાયર-સેલર મીટ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપારી સંબંધો વધુ મજબૂત બને છે. ખાસ કરીને રશિયાના 6 અને બ્રાઝિલના 3 પ્રતિનિધિઓની સક્રિયતાએ સુરતના વેપારીઓ માટે નવા દ્વાર ખોલી દીધા છે. આ પ્રકારના સીધા સંવાદથી વચેટિયાઓ દૂર થાય છે અને મેન્યુફેક્ચરર્સને તેમની મહેનતનું પૂરતું વળતર અને મોટા ઓર્ડર મળવાની શક્યતા વધી જાય છે. સફળ લોજિસ્ટિક્સ અને સુઆયોજિત વ્યવસ્થાઈવેન્ટના સફળ સંચાલન માટે GJEPC દ્વારા જબરદસ્ત લોજિસ્ટિક્સ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. ફેક્ટરીઓના રૂટ ભૌગોલિક અંતરના આધારે નક્કી કરવામાં આવ્યા હતા જેથી સમયનો બચાવ થાય. દરેક ગ્રુપ સાથે એક ડેડિકેટેડ કોઓર્ડિનેટર ફાળવવામાં આવ્યો હતો, જેઓ હેડ ઓફિસ અને ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સી સાથે સતત સંપર્કમાં હતા. આ વ્યવસ્થાને કારણે 17 માંથી મોટાભાગની કંપનીઓએ તમામ 16 ફેક્ટરીઓની સફળતાપૂર્વક મુલાકાત પૂર્ણ કરી હતી. સુરતની મહેમાનગતિ અને વ્યાવસાયિક અભિગમથી વિદેશી ખરીદદારો અત્યંત પ્રભાવિત થયા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે વલસાડ કસ્ટમ્સ વિભાગે કોલક જેટી પાસે દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે. 'જય જલારામ' નામની શંકાસ્પદ બોટમાંથી 69.68 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 76.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 8 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. કસ્ટમ્સ વિભાગની ટીમ 16 એપ્રિલે પેટ્રોલિંગમાં હતી ત્યારે દમણ તરફથી આવતી એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી. અધિકારીઓએ બોટને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે બોટ ભગાડી હતી. ટીમે ફિલ્મી ઢબે પીછો કરીને સમુદ્રમાં જ બોટને આંતરી લીધી હતી. જોકે, ઓટ હોવાને કારણે બોટને તરત કાંઠે લાવી શકાઈ ન હતી, પરંતુ મધરાતે ભરતી આવતા તેને કોલક જેટી પર લાંગરવામાં આવી હતી. બોટ (IND GJ-15-MM-0613) ની તપાસ કરતા તેના કોલ્ડ રૂમમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં કુલ 555 બોક્સમાં ભરેલી 18,672 બોટલ/ટીન (5,358.48 લિટર) દારૂનો સમાવેશ થાય છે, જેની કિંમત 69,68,880 રૂપિયા છે. આ ઉપરાંત, 7,00,000 રૂપિયાની બોટ અને 5 મોબાઈલ ફોન સહિત કુલ 76.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે સ્થળ પરથી 8 શખ્સોની ધરપકડ કરી છે : દારૂનો આ આ જથ્થો ભરી આપનાર કિરીટ રમેશ હળપતિ (દમણ) વોન્ટેડ છે.પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, વોન્ટેડ આરોપી કિરીટે આ દારૂનો જથ્થો દમણની હર્ષ કેમિકલ કંપની પાસે નદીમાં ઊભેલી બોટમાં ભરાવ્યો હતો. આ દારૂ દરિયાઈ માર્ગે નવસારી પહોંચાડવાનો હતો. આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ અગાઉ પણ બે વાર સુરતના ઓલપાડ ખાતે દારૂ ખાલી કરી ચૂક્યા છે. હાલ પારડી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જંગ યોજાવાની છે. કલોલ અને દહેગામ નગરપાલિકાઓ સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ ચૂંટણી પ્રચારના નામે થતા જાહેર મિલકતોના બગાડ અને કાયદાના ઉલ્લંઘન સામે લાલ આંખ કરી છે. ગાંધીનગરના જિલ્લા મેજીસ્ટ્રેટ રવિન્દ્ર ખતાલેએ જાહેરનામું બહાર પાડીને ચૂંટણી પ્રચારના નિયમોમાં ધરખમ સુધારા સાથે કડક પાલનના આદેશો આપ્યા છે. રાજકીય પક્ષો અને ઉમેદવારોનું મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોરગાંધીનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આ લોકશાહીના પર્વમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ-163 હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સરકારી વાહનો પર લખાણ લખવા કે પોસ્ટર ચોંટાડવા પર સંપૂર્ણ પ્રતિબંધસામાન્ય રીતે ચૂંટણીઓ આવતા જ શહેરની દીવાલો પોસ્ટરોથી ભરાઈ જતી હોય છે અને સરકારી કચેરીઓ કે વીજળીના થાંભલાઓ પર પક્ષીય પ્રતીકોના તોરણો ઝૂલવા લાગે છે. પરંતુ આ વખતે સરકારી મકાનો, રોડ-રસ્તા, ટેલિફોન અને ઈલેક્ટ્રિક થાંભલા, એસ.ટી. બસ સ્ટોપ કે સરકારી વાહનો પર લખાણ લખવા કે પોસ્ટર ચોંટાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મિલકત માલિકની લેખિત પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત આ ઉપરાંત ખાનગી મિલકતોના ઉપયોગ બાબતે પણ નિયમો વધુ ચુસ્ત બનાવવામાં આવ્યા છે. જો કોઈ ઉમેદવાર કે સમર્થક કોઈની ખાનગી માલિકીની દીવાલ કે જમીન પર પ્રચાર સામગ્રી લગાવવા માંગતા હોય તો મિલકત માલિકની લેખિત પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત કરવામાં આવી છે. ઘણીવાર એવું જોવા મળે છે કે મકાન માલિકની અનિચ્છા હોવા છતાં રાજકીય પ્રભાવ હેઠળ બેનરો લગાવી દેવામાં આવે છે, જેના પર હવે કાનૂની રોક લાગશે. 8 ફૂટથી ઊંચા કટઆઉટ પ્રચાર માટે વાપરી શકાશે નહીંઆ સિવાય હોર્ડિંગ્સ અને કટઆઉટના કદમાં પણ મર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે. 15 ફૂટ બાય 8 ફૂટથી મોટા હોર્ડિંગ્સ અને 8 ફૂટથી ઊંચા કટઆઉટ પ્રચાર માટે વાપરી શકાશે નહીં. પ્રચાર માટે જે કંઈ પણ સામગ્રી તૈયાર કરવામાં આવશે તેનો સંપૂર્ણ ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં દર્શાવવો પડશે. એટલું જ નહીં જેવી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે તેવી જ તમામ પ્રચાર સામગ્રી હટાવીને મિલકતોને તેની મૂળ સ્થિતિમાં લાવવાની જવાબદારી પણ ઉમેદવારે ઉઠાવવી પડશે. નિયમોનું ઉલ્લંઘન કરશે તો દંડ અને જેલની સજાઆ આદેશ આગામી 30 એપ્રિલ 2026 સુધી અમલી રહેશે. જો કોઈ પણ વ્યક્તિ કે પક્ષ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેમાં દંડ અને જેલની સજાની પણ જોગવાઈ છે. વહીવટી તંત્રએ આ આદેશના અમલીકરણ માટે પોલીસ તંત્રને પણ સજ્જ કર્યું છે. જેના માટે હેડ કોન્સ્ટેબલથી ઉપરના હોદ્દા ધરાવતા તમામ અધિકારીઓને ફરિયાદ નોંધવાની સત્તા આપી દેવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. જિલ્લામાં 1005 મતદાન મથકો પર 26 એપ્રિલે મતદાન યોજાશે. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો નક્કી કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ બેઠકમાં કુલ મતદાન મથકોમાંથી ખાસ કરીને ચારથી વધુ પોલિંગ બૂથ ધરાવતા કેન્દ્રોને સંવેદનશીલ તરીકે ગણવાનો નિર્ણય લેવાયો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી વિસ્તારોને વિશેષ નજર હેઠળ રાખવામાં આવશે. ચૂંટણી દરમિયાન મતદારોને કોઈ અગવડ ન પડે અને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તમામ વ્યવસ્થાઓની વિગતવાર સમીક્ષા કરાઈ હતી. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે અધિકારીઓને આચારસંહિતા મુજબ નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી યોજાય તે માટે જરૂરી માર્ગદર્શનો આપ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દરેક તબક્કે ચૂંટણી પ્રક્રિયા અવરોધ વિના પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવું અનિવાર્ય છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ માહિતી આપી હતી કે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે. સંવેદનશીલ વિસ્તારોમાં માર્ચપાસ્ટ સહિતના પગલાં લેવામાં આવશે અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરાશે. કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ 1010 મતદાન મથકો હતા, જેમાંથી પાંચ બેઠકો બિનહરીફ જાહેર થયા બાદ હવે 1005 મતદાન મથકો પર 26 એપ્રિલે મતદાન થશે. તમામ મથકો પર ઈવીએમ સહિતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને તાલુકાવાર આયોજન સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા તથા તાલુકા સ્તરના અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહત્તમ મતદાન થાય તેના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'સ્વેપ' (SVAP) અંતર્ગત ખાસ અભિયાન ચાલી રહ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની ટીમ દ્વારા સમાજના વિવિધ વર્ગોને મતદાન પ્રક્રિયામાં જોડવા માટે પ્રયાસો હાથ ધરાયા છે. જે અંતર્ગત કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ, અંધજન કલ્યાણ મંડળ, માનસિક ક્ષતિવાળા બાળકોનું ગૃહ અને ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર જેવી સંસ્થામાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જ્યાં આશ્રીતોએ ઉત્સાહપૂર્વક અમે અવશ્ય મતદાન કરીશું તેવા સામૂહિક શપથ લીધા હતા. લોકશાહીના આ ઉત્સવમાં લોકભાગીદારી વધારવા માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના સખી મંડળો તેમજ સ્વ-સહાય જૂથોની બહેનોએ કલાત્મક પ્રદર્શન કર્યું હતું. બહેનોએ પોતાના હાથમાં મતદાન જાગૃતિના સંદેશા સાથેની મહેંદી મૂકીને સમાજના અન્ય નાગરિકોને મતદાન કરવા માટે પ્રેરણા આપી હતી. શારીરિક કે માનસિક મર્યાદા ધરાવતા મતદારોએ પણ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની જવાબદારી અદા કરવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો, જે આ અભિયાનની એક મોટી સફળતા માનવામાં આવે છે. વહીવટી તંત્ર દ્વારા ઉપસ્થિત તમામ મતદારોને મતાધિકારના પવિત્ર મૂલ્ય અને તેની અસરો વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. રાજકોટમાં દવાના બિલ થકી મતદાનની અપીલનો નવતર અભિગમ અપનાવાયો ‘લો ભાઈ આ દવાનું બિલ..’, બિલ જોતાં જ ગ્રાહકોને તા.26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંગે મતદાનની માહિતી આપતો સ્ટેમ્પ પણ જોવા મળી રહ્યો છે. આ સ્ટેમ્પ ગ્રાહકોને દવા લેતા લેતા તેમની મતદાન કરવાની ફરજ પણ યાદ કરાવશે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'સ્વેપ' પ્રવૃત્તિ અંતર્ગત રાજકોટના મેડિકલ સ્ટોરમાં દવાના બિલમાં તા.26 ના રોજ યોજાનાર તાલુકા-જિલ્લા પંચાયત / મહાનગરપાલિકા / ગોંડલ નગરપાલિકા સામાન્ય / પેટા ચૂંટણી – 2026 મતદાન તારીખ અને 'મારો મત મારો અધિકાર– મતદાન અચૂક કરીએ' નો સંદેશ પણ દર્દીના પરિવાજનોને આપવામાં આવી રહ્યો છે. આ અંગે માહિતી આપતા 'સ્વેપ' ના નોડલ અધિકારી જીજ્ઞાશાબેન ગઢવીએ જણાવ્યું છે કે, મતદાન જાગૃતિ અર્થે અનેક સંસ્થાઓ હાલ સહયોગ આપી રહી છે. શહેર તેમજ જિલ્લા કક્ષાએ મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે પૈકી આરોગ્ય વિભાગના સહયોગથી ખાનગી મેડિકલ સ્ટોર ઉપરાંત મહાનગરપાલિકના જનસેવા કેન્દ્ર તેમજ ટેક્સ બ્રાન્ચમાં પણ બિલ સાથે આ સ્ટેમ્પ દ્વારા મતદાન તારીખ અને મતદાન માટે સહયોગ આપવા અપીલ કરવામાં આવી રહી છે.દવા ખરીદતા કે કોર્પોરેશનમાં ટેક્સ માટે આવતા ગ્રાહકો કે જેઓ મતદાન કરી શકે છે તેઓ બિલ પરના આ સ્ટેમ્પ જોઈ હકારાત્મક પ્રતિભાવ સાથે લોકશાહીના પર્વમાં સહભાગી બનવા પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યા છે. મોટર કારના ‘ગોલ્ડન-સિલ્વર’ નંબર માટે 23 એપ્રિલથી ઓનલાઇન રી-ઓક્શનનો પ્રારંભ થશે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા જણાવવામાં આવે છે કે, મોટર કાર પ્રકારના વાહનો માટેની નવી GJ 03 PR સિરીઝ તેમજ અગાઉની સિરીઝના બાકી રહેલા 'ગોલ્ડન-સિલ્વર' નંબર મેળવવા માટે આગામી તા.23 એપ્રિલથી ઓનલાઇન હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા અરજદારોએ તા.23 એપ્રિલના સાંજે 4 કલાકથી તા.28 એપ્રિલના સાંજે 4 કલાક સુધીમાં પરિવહન વિભાગની વેબસાઇટ parivahan.gov.in પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ ઓનલાઇન સર્વિસમાં જઈને ફેન્સી નંબર બુકિંગ પર ક્લિક કરી નિર્ધારિત ફી ભરી બિડિંગમાં ભાગ લઈ શકાશે. વાહન માલિકોએ ખાસ નોંધ લેવી કે વાહન ખરીદ્યાના સાત દિવસની અંદર સી.એન.એ. (CNA) ફોર્મ ઓનલાઇન ભરેલું હોવું ફરજિયાત છે, અન્યથા સમય મર્યાદા બહારની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.રજીસ્ટર્ડ થયેલા અરજદારો માટે બિડિંગની પ્રક્રિયા તા.28 એપ્રિલના રોજ સાંજે 04:01 કલાકથી શરૂ થશે, જે તા.30 એપ્રિલના રોજ સાંજે 4 કલાક સુધી ચાલશે. આ હરાજીનું પરિણામ તા.30 એપ્રિલના સાંજે 4.15 કલાકે ઓનલાઇન જાહેર કરવામાં આવશે.રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અખાત્રીજે બાળ લગ્નો અટકાવવા સજ્જ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 હેઠળ સમગ્ર રાજ્યમાં લગ્ન માટે યુવકની ઉંમર 21 વર્ષ અને યુવતીની ઉંમર 18 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. આ નિર્ધારિત ઉંમર પહેલા થતા લગ્ન કાયદાકીય રીતે ગુનો બને છે. આગામી તારીખ 19/04/2026ના રવિવારના રોજ ‘અક્ષય તૃતીયા’ (અખાત્રીજ)ના દિવસે મોટા પ્રમાણમાં લગ્ન સમારંભો યોજાવાની સંભાવના છે. આ તકે વિવિધ સમુદાયોમાં સગીર વયના બાળકોના લગ્ન ન થાય તે માટે રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટને વિશેષ સત્તાઓ સાથે તેમને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી તરીકે જાહેર કરાયા છે. તેઓ બાળ લગ્નો રોકવા માટે જરૂરી તમામ પગલાં લઈ શકશે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોઈપણ સ્થળે બાળ લગ્ન ન યોજાય અને જનતાને યોગ્ય માર્ગદર્શન તેમજ કાયદાકીય મદદ મળી રહે તે માટે રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. જો કોઈપણ નાગરિકને બાળ લગ્ન થતા હોવાની જાણકારી મળે અથવા આ અંગે મદદની જરૂર હોય, તો તેઓ ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 અથવા કચેરીના ફોન નંબર 0281-2448590 અથવા 2458590 પર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, dsdo-raj@gujarat.gov.in પર ઇમેઇલ દ્વારા પણ જાણ કરી શકાશે. આ ઉપરાંત લોકો બહુમાળી ભવન, ગ્રાઉન્ડ ફ્લોર, એસ.બી.આઈ. બેંકની સામે, રાજકોટ -360001 ખાતે આવેલી બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે સંપર્ક કરી શકશે. મોદી સ્કૂલમાં 18 એપ્રિલે હિંસામુક્ત વિશ્વ અંતર્ગત વર્કિંગ મોડલ્સ, પ્રોજેક્ટ્સ, પોસ્ટર્સ સાથેનું પ્રદર્શન રાજકોટની મોદી સ્કૂલ દ્વારા 18 એપ્રિલના શિક્ષા સે સંસ્કાર: હિંસામુક્ત અને કરુણામય વિશ્વ તરફ એક ડગલું અંતર્ગત પ્રદર્શન રાખવામાં આવ્યું છે. શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી વી. જે. મોદી સ્કૂલ ખાતે તા.18 ના સવારે 9.30 થી સાંજ સુધી પ્રદર્શન યોજાશે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા પોસ્ટર્સ, પ્રોજેક્ટ્સ અને વર્કિંગ તેમજ નોન-વર્કિંગ મોડેલ્સ દ્વારા ગહન વિષયો પર પ્રકાશ પાડવામાં આવશે. જેમાં માનવ શરીર વિરુદ્ધ માંસાહારી પ્રાણીઓ, વૈભવી જીવન અને ક્રૂરતા, આહાર અને સ્વાસ્થ્ય, રોગચાળો અને પશુ ક્રૂરતા, ધર્મ અને અહિંસા, ડિજિટલ જાગૃતિ સહિતના પ્રોજેક્ટ સામેલ છે. આ કાર્ય મોદી સ્કૂલના સ્થાપક ડૉ. રશ્મિકાંત મોદીના માર્ગદર્શન હેઠળ શાળાના સ્ટાફ અને ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ દ્વારા 'શિક્ષા સે સંસ્કાર' કાર્યક્રમ અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું છે. રાજકોટના તમામ જીવદયા પ્રેમીઓ, કાર્યકરો અને જનતાને આગ્રહ કરીએ છીએ કે આ પ્રદર્શનની મુલાકાત લઈ વિદ્યાર્થીઓના પ્રોત્સાહનમાં વધારો કરે તેવી અપીલ કરવામાં આવી છે.
દાહોદ શહેરના ગોવિંદનગર વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા એપાર્ટમેન્ટના ચોથા માળે એક ફ્લેટમાં આગ લાગી હતી. ફ્રિજમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ઘરવખરીને વ્યાપક નુકસાન થયું હતું. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના ગીત નંદન સોસાયટી સામે આવેલા વિશ્વકર્મા એપાર્ટમેન્ટમાં બની હતી. આગ તરંગ અજય પટેલ નામના વ્યક્તિના બંધ ફ્લેટમાં લાગી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડા દૂર સુધી દેખાતા એપાર્ટમેન્ટના અન્ય રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ફ્લેટમાં રહેલા ફ્રિજમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. આગ લાગી ત્યારે પરિવારના સભ્યો ઘરમાં હાજર હતા, પરંતુ તેઓ સમયસર બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ જાનહાનિ ટળી હતી. આગની જાણ થતાં જ દાહોદ નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાવચેતીના ભાગરૂપે ગુજરાત ગેસ દ્વારા ગેસ લાઈન અને MGVCL દ્વારા વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો. હાઈરાઈઝ બિલ્ડીંગ હોવા છતાં, ફાયર બ્રિગેડ અને સ્કાયમેટની ટીમોએ એક કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આગ એટલી તીવ્ર હતી કે તેના પર કાબૂ મેળવાય ત્યાં સુધીમાં ઘરમાં રહેલી તમામ ઘરવખરી, ફર્નિચર અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. મકાન માલિકને આ ઘટનામાં મોટું આર્થિક નુકસાન થયું છે. આ ઘટનાએ હાઈરાઈઝ બિલ્ડીંગોમાં આગ સામેની સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઉભા કર્યા છે.
અમરેલી જિલ્લામાં લાઠી-ચાવંડ માર્ગ પર ST બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં બોટાદના રહેવાસી બાઇક ચાલક લાલજીભાઈ ગોવિંદભાઈ ચૌહાણનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ માર્ગ પરથી પસાર થઈ રહેલા રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ તાત્કાલિક પોતાનો કાફલો રોક્યો હતો. તેમણે સંવેદના દાખવી મૃતદેહને કપડાથી ઢાંકાવ્યો હતો. મંત્રીઓએ બોટાદ અને અમરેલીના પોલીસ અધિક્ષકો (SPs) ને ટેલિફોનિક જાણ કરી તાત્કાલિક મદદ માટે સૂચના આપી હતી. અમરેલીથી ભાવનગર જતા માર્ગમાં બનેલી આ ઘટના બાદ બંને મંત્રીઓએ સ્થળ પર હાજર રહી રાહત અને બચાવ કામગીરી માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શરૂઆતમાં મૃતકનો મોબાઈલ બંધ હોવાથી ઓળખમાં મુશ્કેલી પડી હતી. જોકે, વાહન નંબર અને આધાર કાર્ડની ચકાસણી બાદ મૃતક બોટાદ વિસ્તારનો હોવાનું સામે આવ્યું હતું. મંત્રીઓએ મૃતકના પરિવારજનોને લાઠી સુધી પહોંચાડવા અને પોસ્ટમોર્ટમ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે સ્થાનિક પોલીસતંત્રને જરૂરી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી. આ ઘટના અંગે મંત્રી કૌશિક વેકરિયાએ શોક વ્યક્ત કર્યો હતો અને દિવંગત આત્માની શાંતિ તથા શોકગ્રસ્ત પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી.
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે બજરંગ દળનું આંદોલન:દેશભરના જિલ્લા મથકો પર આવેદનપત્ર, કડક કાર્યવાહીની માંગ
દેશભરમાં વધી રહેલી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ સંગઠનોએ ગીર સોમનાથ સહિત દેશભરના જિલ્લા મથકો પર આવેદનપત્રો પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી છે. સંગઠનોનો આરોપ છે કે સમાજના વિવિધ ક્ષેત્રોમાં આવી પ્રવૃત્તિઓ વધવાને કારણે અસુરક્ષા અને અસંતુલનની સ્થિતિ સર્જાઈ રહી છે. મહારાષ્ટ્રના નાસિકમાં તાજેતરમાં સામે આવેલી ઘટનાને ટાંકીને, દેશના અનેક વિસ્તારોમાં જમીન પચાવી પાડવી, સામાજિક તણાવ ઊભો કરવો અને સગીરાઓનું શોષણ જેવી ગંભીર ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. આ પરિસ્થિતિના વિરોધમાં, બજરંગ દળ દ્વારા વેરાવળ ખાતે ડેપ્યુટી કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સંગઠનના કાર્યકરોએ જણાવ્યું હતું કે જો આવી પ્રવૃત્તિઓ પર સમયસર નિયંત્રણ નહીં લાવવામાં આવે, તો તે સમાજની શાંતિ અને સુવ્યવસ્થા માટે ગંભીર ખતરો બની શકે છે. તેથી, તેમણે સરકારને આ મુદ્દે તાત્કાલિક અને દૃઢ પગલાં લેવા વિનંતી કરી છે.
વડોદરામાં રક્તદાન શિબિરનું આયોજન:માતા હરદેવીની પુણ્યતિથિએ સજ્જણ દરબાર દ્વારા વારસિયામાં આયોજન
વડોદરાના વારસિયા વિસ્તારમાં સજ્જણ દરબાર દ્વારા માતા હરદેવીની 40મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર 18 એપ્રિલ, 2026ના રોજ યોજાશે. આ રક્તદાન શિબિર શનિવારે સવારે 9.30 થી સાંજે 5.30 વાગ્યા સુધી ચાલશે. તેનું આયોજન ટી/૨૮, ૪૪૫ કોટ એરિયા, એસ.કે. કોલોની, ઝુલેલાલ મંદિર મેઈન રોડ, વારસિયા, વડોદરા ખાતે કરવામાં આવ્યું છે. આયોજકોએ લોકોને માનવ સેવાના આ કાર્યમાં જોડાઈને વધુમાં વધુ રક્તદાન કરવા અપીલ કરી છે. એકવારનું રક્તદાન ત્રણ જેટલા જીવન બચાવી શકે છે. સમાજના યુવાનો અને નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.
અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 2011માં ચુકાદો આપતા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત આવક કરતા વધુ સંપતિના કેસમાં વલસાડના પારડીમાં તત્કાલીન સિવિલ જજ અને મેજિસ્ટ્રેટ પ્રેમજી ગોહિલને 2 વર્ષ કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેની સામે જજે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જો કે હાઇકોર્ટે જજની અપીલ નકારી નાખતા. તેમને 15 દિવસની અંદર જેલ સમક્ષ સરેન્ડર કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે. જજે હોદ્દાનો દુરુપયોગ કરીને 7 લાખનો ચેક ભેટ સ્વરૂપે સ્વીકાર્યાનો આક્ષેપ કેસને વિગતે જોતા જજ, તેમની પત્ની અને સાળા સામે ACBએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત ગુનો નોંધ્યો હતો. જેની ટ્રાયલમાં આરોપી જજની પત્ની અને સાળો નિર્દોષ છૂટ્યા હતા. જ્યારે જજને 2 વર્ષ કેદની સજા કરવામાં આવી હતી. જજે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને 7 લાખ રૂપિયાની ભેટ ચેક સ્વરૂપે સ્વીકાર્યાનો આક્ષેપ છે. જેનો રિપોર્ટ તેને ઉપરી ઓથોરિટીને આપ્યો ન હતો. વળી તેમની ઉપર લાંચ લેવાની આદતનો આક્ષેપ છે. જેઓ પોતાની કોર્ટમાં આવેલા કેસમાં ફેવર કરતા હતા. જજે આરોપી પાસેથી નિવાસ સ્થાનની બહારનો રોડ બનાવડાવ્યો હતોઅરજદારના કુટુંબમાં એક મિલકતની ખરીદી 5.51 લાખ રૂપિયામાં થઈ હતી. જેની બજાર કિંમત 36 લાખ રૂપિયા જેટલી હતી. વળી જજે એક આરોપી પાસેથી પોતાના નિવાસ સ્થાનની બહારનો રોડ બનાવડાવ્યો હતો. 'આરોપીને કોઈ પારિવારિક સંબંધ નહોતો'હાઈકોર્ટે નોંધ્યું હતું કે, ભેટ આપનાર વ્યક્તિ સાથે અરજદાર આરોપીને કોઈ પારિવારિક સંબંધ નહોતો. અરજદારે ઉપરોક્ત રકમ કાયદેસરના સ્ત્રોતમાંથી મેળવી છે, તેવું તે સાબિત કરી શક્યા નથી.
બોટાદના હરણકુઈમાં ભંગારના ડેલામાં વિકરાળ આગ:ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા, ફાયર ઘટનાસ્થળે
બોટાદના હરણકુઈ વિસ્તારમાં આવેલા એક ભંગારના ડેલામાં ભીષણ આગ લાગી છે. આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા, જેને જોવા માટે આસપાસના લોકો એકઠા થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બોટાદ નગરપાલિકાના બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે.
BIG NEWS| ઈરાનનો મોટો નિર્ણય: હોર્મુઝ સ્ટ્રેટ તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત
Strait of Hormuz Reopens : ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે થયેલા યુદ્ધવિરામ બાદ હવે હોર્મુઝ સ્ટ્રેટ તમામ વ્યાપારી જહાજો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ નિર્ણયથી વૈશ્વિક બજારમાં તેલના ભાવ અને માલસામાનની સપ્લાય ચેઈનને મોટી રાહત મળશે.
મૂળ મોરબીના અને હાલ રાજકોટના વાછકપર બેડી ગામમાં રહેતા રોનીલભાઈ ચંદ્રાલાના ઘરમાં ઘુસી તેમની પત્નીનું અપહરણ કરી લઇ જતા પત્નીના મોટા બાપુ કિશોરભાઈ કુકરવાડીયા, તેમનો પુત્ર જય, મામાનો દીકરો આકાશ ગામી અને ફઈનો દીકરો કુલદીપભાઇ ધોડાસરા વિરુદ્ધ કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે યુવકે 6 મહિના પહેલા મોરબીની યુવતી સાથે પ્રેમલગ્ન લગ્ન કર્યા હતા જેનો ખાર રાખી યુવતીના પરિવારજનો સમાધાન કરવા બહાને ઘરે આવી પત્નીને અપહરણ કરી લઇ જતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. મોરબીના વતની અને હાલ રાજકોટમાં રહેતા 27 વર્ષીય રોનીલભાઈ અમૃતભાઈ ચંદ્રાલાએ આ મામલે પોતાના પત્નીના સંબંધીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. રોનીલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમણે છ મહિના પૂર્વે મોરબીની ઇશીતા કુકરવાડીયા સાથે પ્રેમસંબંધ હોવાથી ફેબ્રુઆરી 2026માં અમરેલી જિલ્લાના કુકાવાવ ખાતે પ્રેમલગ્ન કર્યા હતા. ગત 14.04.2026ની રાત્રે 12.45 વાગ્યા આસપાસ ફરિયાદી રોનીલભાઈ તેમના પરિવાર સાથે વાછકપર બેડી ગામે ઘરે હાજર હતા, ત્યારે પત્નીના પિયર પક્ષના સભ્યો ધસી આવ્યા હતા. જેમાં પત્નીના મોટા બાપુ કિશોરભાઈ કુકરવાડીયા, તેમનો પુત્ર જય, મામાનો દીકરો આકાશ ગામી અને ફઈનો દીકરો કુલદીપ ધોડાસરા સહિત અન્ય ચાર અજાણ્યા શખ્સોએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. તમામ શખ્સોએ ફરિયાદીના પરિવારને બિભત્સ ગાળો આપી ધાકધમકી આપી હતી. દરમિયાન આકાશ નામના શખ્સે ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો, જ્યારે કિશોરભાઈએ રોનીલભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ઇશીતાબેનને પોતાની સાથે ઘરે આવવા દબાણ કર્યું હતું. આ હુમલા બાદ આરોપીઓ ઇશીતાબેનને બળજબરીથી પકડીને ઘરની બહાર લઈ ગયા હતા અને ત્યાં ઉભેલી એક ફોર-વ્હીલર કારમાં બેસાડી તેમનું અપહરણ કરીને નાસી છૂટ્યા હતા. ફરિયાદીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં જ્ઞાતિના રીત-રિવાજ મુજબ ઘરમેળે સમાધાનની વાતો ચાલતી હોવાથી તેમણે પોલીસ ફરિયાદ કરી ન હતી, પરંતુ બે દિવસ વિતવા છતાં પત્નીનો કોઈ પત્તો ન લાગતા આખરે તેમણે કાયદાનો આશરો લીધો છે. હાલ કુવાડવા પોલીસે આ મામલે BNSની કલમ 140(3), 115(2), 352 અને 127(3) હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટેનો જંગ જામ્યો છે. શહેર પોસ્ટર વોર, સોશિયલ મીડિયા વોર હવે ખુલીને જોવા મળી રહી છે. બે દિવસ પહેલા શહેરના વોર્ડ 10ના ભાજપના ઉમેદવાર નીતિન દોંગા વિરુદ્ધ પોસ્ટર લાગ્યા હતા. જે બાદ નીતિન દોંગા અને ક્રાંતિકારી સેનાના યુવાન કે જેને આ પોસ્ટર લગાવ્યા હોવાનું કહેવાય છે તેઓ વચ્ચેનો વાતચીતનો ઓડિયો વાઇરલ થયો છે. જેમાં નીતિન દોંગા યુવકને એવું કહેતા સાંભળવા મળે છે કે, તું મને હરાવવાના બધા પ્રયત્ન કરી લે. જો તું મને નહીં હરાવી શક્યો તો તું બહુ દુઃખી થઈશ. ભાજપના ઉમેદવારો વિરૂદ્ધ પોસ્ટર લગાવ્યા હતાચૂંટણીમાં ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કર્યા બાદ કેટલાક વિસ્તારોમાં ઉમેદવારો સામે વિરોધ જોવા મળ્યો હતો. વોર્ડ 10માં અગાઉ મહિલા ઉમેદવાર અવની સ્ટેમ્પવાલા વિરૂદ્ધ બેનર લાગ્યા હતા તે બાદ એ જ વોર્ડના રીપીટ ઉમેદવાર નીતિન દોંગા વિરૂદ્ધ પોસ્ટર લગાવ્યા હતા. આ પોસ્ટર ક્રાંતિકારી સેના દ્વારા લગાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. નીતિન દોંગા વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા બાદ તેઓએ કથિત રીતે પોસ્ટર લગાવનાર શ્રેયસ પટેલ નામના યુવકને ફોન કર્યો હતો અને તેનો ઓડિયો વાઇરલ થયો છે. લોકો અમને પૂછે છે, કામો નથી થતાનીતિન દોંગા અને યુવક વચ્ચે વાતચીતના ઓડિયોમાં નીતિન દોંગા પૂછી રહ્યા છે કે, તે મારી વિરૂદ્ધમાં પોસ્ટર કેમ લગાવ્યા? જેના જવાબમાં યુવક કહી રહ્યો છે કે, લોકો અમને પૂછે છે. શું કામ થયા તેમ પૂછે છે. અમારે શું જવાન આપવાનો. મેં પોસ્ટર લગાવ્યા છે તો તમે હિસાબ આપી દો ને. જેના જવાબમાં નીતિન દોંગા કહે છે કે, હું હિસાબ આપીશ અને તારો હું પર્સનલ હિસાબ કરીશ. હું મીડિયાના બાપથી નથી ડરતો, તું કઈ વાડીનો છે?યુવાન નીતિન દોંગાને કહે છે કે, પોસ્ટર લગાવ્યા તો તમને જ ફાયદો થશે. લોકો તમને ઓળખશે તો ખરા અને તેના કારણે તમે જ જીતશો. વધુમાં યુવક એમ પણ કહે છે કે, અવનીબેન વિરૂદ્ધ પોસ્ટર લગાવ્યા ત્યારે તમે મીડિયામાં એમ કહ્યું કે, આ કોંગ્રેસ પ્રેરિત છે. હું કઈ કોંગ્રેસનો માણસ છું? તમે ખોટું કેમ કહ્યું. હું આ અભિયાન ચાલુ જ રાખીશ. જેના જવાબમાં નીતિન દોંગા કહે છે કે, હું મીડિયાના બાપથી પણ નથી ડરતો તો તું કઈ વાડીનો છે. હું તને ચેલેન્જ કરું છું કે તું મને હરાવી દે. ક્યાં મળવું છે બોલ આજે ક્યાં તું નહીં ક્યાં હું નહીંફોન ઉપર નીતિન દોંગા શરૂઆતમાં ખૂબ પ્રેમથી વાત કરીને દીકરા કહી યુવાનને સંબોધે છે, પરંતુ બાદમાં યુવાન જીદે ચઢતા નીતિન દોંગા અકળાઈ જાય છે અને કહે છે કે ક્યાં મળવું છે બોલ, આજે ક્યાં તું નહીં... ક્યાં હું નહીં. તારો બે કલાકમાં હિસાબ કરી નાખીશ, મને હરાવવાના બધા પ્રયત્ન કરી લે, હું જીતી ગયો તો 28 તારીખ પછી તું બહુ દુઃખી થઈશ. સ્ત્રીનું અપમાન સહન ન કરી શકાયસમગ્ર વાતચીત અંગે નીતિન દોંગાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, આજે ક્યાં અવનીબેન વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા છે. એ યુવાનને બહુ પ્રેમથી અમે અમારી સાથે એક ટેબલ પર બેસાડીને જમાડ્યો પણ છે. તેમ છતાં નારી શક્તિનું અપમાન કરે તે કેવી રીતે ચલાવી લેવાય? મેં એ યુવાનને એમ કહ્યું કે, આ સ્ત્રી તારા માતાની ઉંમરના છે તો એમને શું કામ બદનામ કરવાના. તેઓએ એમ પણ કહ્યું કે બે દિવસ અગાઉ ચેરમેનના નામની ચર્ચા થઈ ત્યારે તે બાદ પણ આ રાજકારણ રમાઈ રહ્યું હોય શકે.
સેવક ખીમજીભાઈ બારડ સેવા નિવૃત:એમ. એલ. દોશી અધ્યાપન મંદિરમાં વિદાય સમારંભ યોજાયો
સુરેન્દ્રનગર: એમ. એલ. દોશી સ્ત્રી બુનિયાદી અધ્યાપન મંદિરમાં સેવક ખીમજીભાઈ બારડનો વિદાય સમારંભ ૧૭ એપ્રિલ, ૨૦૨૬, શુક્રવારના રોજ યોજાયો હતો. તેઓ ૩૮ વર્ષની સેવા બાદ નિવૃત થયા છે. સંસ્થામાં ૩૮ વર્ષ સુધી સેવા આપનાર ખીમજીભાઈને સ્ટાફ પરિવાર અને તાલીમાર્થીઓ દ્વારા શ્રીફળ, સાકરનો પડો અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અધ્યાપક વિરેન્દ્રસિંહ ઝાલા અને અન્ય સહકાર્યકરો દ્વારા તેમને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિદાય સમારંભમાં ખીમજીભાઈના બંને દીકરીઓ અને જમાઈ સહિત પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ પારસભાઈ શાહ અને મંત્રી દિપકભાઈ શાહ દ્વારા ખીમજીભાઈને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આચાર્ય ડો. અલકાબેન દેવમુરારી, ડો. સુમિતાબેન મેઢા અને ઇન્દુબેન વસાણી તેમજ તાલીમાર્થી બહેનો દ્વારા પણ ખીમજીભાઈને વિદાય નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં મોડાસા-ગોધરા હાઇવે પર ક્રિસ્ટલ સ્કૂલ સામે એક પેસેન્જર ભરેલો છકડો પલટી ગયો હતો. આ અકસ્માતમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં બે મહિલા, એક પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી અનુસાર, છકડા ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા આ ઘટના બની હતી. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
GCAS પોર્ટલ બંધ કરવા અથવા તો તેમાં પ્રાઇવેટ યુનિવર્સિટીનો પણ સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે ABVPએ મોરચો માંડ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના સામે મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓએ ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો. સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે શરૂ કરાયેલા GCAS પોર્ટલના કારણે ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો થતો હોવાનો ABVPએ આક્ષેપ કર્યો છે. જેથી GCAS પોર્ટલ બંધ નહીં કરવામાં આવે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. GCAS પોર્ટલને બંધ કરવાની ABVPએ માગ કરીસરકાર દ્વારા રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે GCAS પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી GCAS પોર્ટલથી વિદ્યાર્થીઓને સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ આપવામાં આવે છે. પરંતુ હવે ABVPએ તેને બંધ કરવાની માગ કરી છે. GCAS પોર્ટલની જટિલ પ્રક્રિયા અને અનિચ્છિતતાના કારણે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જતા હોવાના આક્ષેપ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીની સામે મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ ધરણા પ્રદર્શન પર બેઠા હતા. પ્રાઈવેટ યુનિવર્સિટીઓને સમાવેશ કરવા માગ કરીGCASની ખામીઓમાં કારણે ગત વર્ષે એક લાખ કરતા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા હોવાનો ધરણા પ્રદર્શન દરમિયાન દાવો કરવામાં આવ્યો છે. જેથી GCAS પોર્ટલ બંધ કરવામાં આવે અથવા તેમાં પ્રાઈવેટ યુનિવર્સિટીઓને સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે દેખાવો કર્યો હતો. GCAS પોર્ટલ બંધ કરો ના પણ નારા વિદ્યાર્થીઓએ લગાવ્યા હતાં. જો સરકાર આ વર્ષે GCAS પોર્ટલ બંધ નહીં કરે તો રાજ્યભરની તમામ યુનિવર્સિટીઓમાં વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રજીસ્ટ્રેશન ફી ઓછી કરવા ABVPએ માગ કરીગુજરાત પ્રદેશ મંત્રી દેવાંશ ભ્રમભટ્ટએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર ગુજરાતમાં જિલ્લાઓમાં સરકાર દ્વારા પ્રવેશ પ્રક્રિયા માટે શરૂ કરવામાં આવેલા GCAS પોર્ટલની નિષ્ફળતાને જાગૃત કરવાનું કામ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કરી રહ્યું છે. દરેક કેમ્પસ અને વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ GCAS પોર્ટલમાં પ્રાઇવેટ યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. ગામડાઓથી આવતા આદિવાસી વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશનની 300 રૂપિયા ફી લેવામાં આવી રહી છે તેથી તે પણ ઓછી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છીએ. જેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી વિરોધ નોંધાવી રહ્યા છે. 'અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરીશું'વધુમાં દેવાંશ ભ્રમભટ્ટએ જણાવ્યું હતું કે, ગત વર્ષે ફોર્મ ભરેલા વિદ્યાર્થીઓમાંથી એક લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને એડમિશન મળ્યા નથી, જેનું કારણ માત્ર અને માત્ર GCAS છે. જે તમામ લોકોએ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધા છે. પ્રાઇવેટ યુનિવર્સિટીના લોકોએ સરકારના કેટલાક લોકોને ખરીદી લીધા છે. તે જ લોકો આખી રેકેટ ચલાવી રહ્યા છે. જેથી અમારી માંગણી છે કે પ્રાઇવેટ યુનિવર્સિટીને પણ આમાં સમાવેશ કરવામાં આવે. જો અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરીશું. GCAS એ રકાસ સાબિત થઈ ગયું છે. છતાં પણ તેમણે પરીક્ષાના આગલાં દિવસ સુધી પ્રવેશ આપવામાં આવે છે. જો પ્રાઇવેટ યુનિવર્સિટીનો સમાવેશ નહીં કરવામાં આવે તો પહેલા જે પ્રમાણે પ્રવેશ આપવામાં આવતો હતો તે રીતે જ પ્રવેશ પ્રક્રિયા લાગુ કરવામાં આવે તેવી અમારી માંગ છે.
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સુરતના પરવટ ગામ સ્થિત વીર ભાથીજી યુવક મંડળ દ્વારા એક સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત 200થી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ ડ્રેસ અને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું. મંડળ દ્વારા ઈન્દ્રર, વાંકોલ, ગોચરિયા અને કસુંદર ગામોની પ્રાથમિક શાળાઓના 200થી વધુ વિદ્યાર્થીઓ માટે વિશેષ સેવા કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ, થાળી-વાડકી અને પેન્સિલ-રબર જેવી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. બાળકો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરાઈ હતી. તિલકવાડાના આ ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ સુધી પહોંચવું પડકારજનક છે. મર્યાદિત સુવિધાઓ વચ્ચે આવા પ્રયાસો બાળકોને શાળાએ આવવા માટે પ્રોત્સાહિત કરે છે. આ સહાયથી બાળકોમાં શાળા પ્રત્યેનો ઉત્સાહ વધ્યો છે. શાળાના શિક્ષકોએ જણાવ્યું કે, આવી પહેલ બાળકોમાં શૈક્ષણિક રસ વધારવાની સાથે વાલીઓમાં પણ શિક્ષણ પ્રત્યે સકારાત્મકતા લાવે છે. સ્થાનિક ગ્રામજનોએ પણ મંડળના આ કાર્યની પ્રશંસા કરી હતી. મંડળના પ્રતિનિધિઓએ માહિતી આપી હતી કે તેઓ ભવિષ્યમાં પણ તિલકવાડાના અંતરિયાળ ગામોમાં શિક્ષણ અને આરોગ્ય સંબંધિત સેવાકીય કાર્યો ચાલુ રાખશે.
વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટે 14વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવનાર 22 વર્ષીય આરોપી કૈલેશ નરોત્તમ વસાવાને 20વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને 30હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે. આ ચુકાદામાં, કોર્ટે ભોગ બનનાર કિશોરીને 'ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ' હેઠળ કુલ 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આરોપી કૈલેશ વસાવા પોતે બે સંતાનોનો પિતા છે. આ ઘટના એપ્રિલ 2022માં બની હતી. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની 14વર્ષીય કિશોરી ભીલાડ ખાતે એક હોટલમાં કામ કરવા ગઈ હતી. આરોપી કૈલેશ વસાવા પણ તે જ હોટલમાં નોકરી કરતો હતો. રાત્રિના સમયે, હોટલના કોમન હોલમાં બધા સૂતા હતા ત્યારે, આરોપીએ કિશોરીની એકલતાનો લાભ લઈ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્યના પરિણામે કિશોરી ગર્ભવતી બની હતી. જ્યારે પરિવારને આ વાતની જાણ થઈ અને ખાનગી ક્લિનિકમાં તપાસ કરાવી, ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ ભીલાડ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસ વાપીના સ્પેશિયલ પોક્સો જજ એચ.એન. વકીલની કોર્ટમાં ચાલ્યો હતો. પબ્લિક પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠીની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાને રાખી કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો. કોર્ટે આરોપીને પોક્સો એક્ટની કલમ 4, કલમ 6, અને IPC કલમ 376(2)(એન) તથા 376(૩) હેઠળ 20-20 વર્ષની કેદ અને પ્રત્યેક કલમ હેઠળ 10-10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે આ તમામ સજાઓ એકસાથે ભોગવવાનો હુકમ કર્યો છે. દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો પણ આદેશ અપાયો છે. ડીએનએ રિપોર્ટ અને પુરાવાકેસ દરમિયાન કિશોરીએ બાળકને જન્મ આપ્યો હતો. જોકે, પોલીસ વિભાગની બેદરકારીને કારણે ડીએનએ સેમ્પલની 'ચેન ઓફ કસ્ટડી' જળવાઈ ન હતી, જેથી કોર્ટે ડીએનએ રિપોર્ટને ગ્રાહ્ય રાખ્યો ન હતો. આમ છતાં, ભોગ બનનાર કિશોરીની મક્કમ જુબાની અને અન્ય સંજોગોવસાત પુરાવાઓના આધારે કોર્ટે આરોપીને કડકમાં કડક સજા કરી સમાજમાં દાખલો બેસાડ્યો છે.
રાજકોટના શિતલ પાર્ક વિસ્તારમાં રહેતી મહિલાએ તેના પૂર્વ પતિ વિરુદ્ધ જાનથી મારી નાખવા અને ગાળાગાળી કરવા બદલ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે મહિલાના પ્રથમ લગ્નના છૂટાછેડા થયા બાદ અલ્તાફ ખિયાણી સાથે પ્રથમ કોર્ટ મેજેર કર્યા હતા અને મનમેળ ન થતા 6 મહિના પછી તેની સાથે પણ છૂટાછેડા લીધા હતા દરમિયાન ગઈકાલે અલ્તાફ ખિયાણીએ ઘરે આવી ધમકી આપી શેરીમાં હોબાળો કરતા ફરિયાદ નોંધાવી છે હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે. ફરિયાદી અફસાના ચૌહાણએ જણાવ્યું હતું કે, વર્ષ 2015માં લગ્ન કર્યા હતા અને મારે સંતાનમાં એક દીકરો તથા એક એક દીકરી છે. પ્રથમ લગ્ન જેની સાથે કર્યા તેની સાથે 2023માં છટાછેડા થઇ ગયા પછી બન્ને બાળકો મારી સાથે રહે છે. ગત તા.05.02.2025ના રોજ અલ્તાફ બસીર ખીયાણી સાથે કોર્ટમાં લવ મેરેજ કર્યા હતા જો કે રોજબરોજ ઝઘડા થતા 6 મહિના બાદ અલ્તાફ સાથે છૂટાછેડા લઇ લીધા હતા. ગઈકાલે સાંજના 5 વાગ્યે હું મારી ઘરે હતી ત્યારે અલ્તાફ બસીર ખીયાણીએ ફોન કરી શું કરશ પૂછતાં હું ઘરમાં અંદર છું કહ્યું હતું. આ સમયે અલ્તાફ ઘરની બહાર કાળા કલરની નંબર પ્લેટ વગરની થાર ગાડી લઇ આવ્યો હતો જેથી હું મારા માતા પિતા તથા, મારા ભાભી, મારા બહેન અમે બધા ઘરની બહાર નીકળ્યા ત્યારે મારા પિતાએ અલ્તાફને કહ્યું કે મારી ઘરે કેમ આવ્યો તારે અમારા ઘરે નહિ આવવાનું જેથી અલ્તાફ મારા પિતાને તથા અમને બધાને ગાળો આપવા લાગ્યો હતો અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમયે ફરી જો તું પાછી મારી સાથે નહિ રહે તો હું તને અને તારા મા-બાપ તથા બાળકોને મારી નાખીશ તેવી ધમકી આપતો હતો. આ પછી મારો ભાઇ હૈદર આવી જતા તેને પણ અલ્તાફને સમજાવટ કરી હતી પરંતુ તે કોઈ વાત સમજવા તૈયાર ન હતો અને શેરી વચ્ચે બેફામ ગાળાગાળી કરતો હતો. હાલ મહિલાની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે અલ્તાફ બસીર ખીયાણી વિરુધ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
ગીર સોમનાથ જિલ્લામાં દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. દરિયાઈ માર્ગે કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત, 17 એપ્રિલ 2026ના રોજ વહેલી સવારે હિરાકોટ બંદર, કદવાર અને જંગલ વિસ્તારથી લઈને સુત્રાપાડા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ સંયુક્ત ઓપરેશનમાં SOG પોલીસ સ્ટાફ, મરીન કમાન્ડો ફોર્સ અને સોમનાથ મરીન પોલીસના જવાનો જોડાયા હતા. નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના સૂચન મુજબ આ કામગીરી યોજાઈ હતી. મરીન કમાન્ડો ડી.વાય.એસ.પી. એસ.આર. શર્મા, સોમનાથ મરીન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. વસાવા, એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. કાગડા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એચ. સુવા સહિતના અધિકારીઓએ ટીમનું નેતૃત્વ કર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન, પોલીસે દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી શંકાસ્પદ હલચલ પર નજર રાખી હતી. આ ઉપરાંત, માછીમારો અને સ્થાનિક લોકોને પણ સુરક્ષા બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે, જેથી દરિયાઈ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય.
'સંસ્કારી નગરી' તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં વધુ એક નવજાત શિશુને તરછોડવાની ઘટના બની છે. ગોરવા પંચવટી પાસે આવેલી નર્મદેશ્વર કો-ઓપરેટિવ સોસાયટીના માર્ગ પરથી એક તાજા જન્મેલા સ્ત્રી બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સોસાયટીની દિવાલ પાસે રઝળતો હતો બાળકીનો મૃતદેહપંચવટી સર્કલથી લક્ષ્મીપુરા તરફ જતા માર્ગ પર ઘનશ્યામ પાર્ક અને નર્મદેશ્વર સોસાયટીની એક દીવાલ પાસે આ બાળકી પડી હતી. ત્યાંથી પસાર થતા એક લારીવાળાનું ધ્યાન આ નવજાત પર પડતા તેણે સ્થાનિક ગલ્લાવાળાને અને સોસાયટીના રહીશોને જાણ કરી હતી. ત્યારબાદ 112 કંટ્રોલ રૂમને જાણ કરાતા ગોરવા પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. નવજાતને નાળ સાથે જ રસ્તા પર ફેંકીACP આર.ડી.કવાએ જણાવ્યું હતું કે, બાળકી તાજી જન્મેલી છે અને તેની નાળ પણ હજુ કાપવામાં આવી નથી, જે સૂચવે છે કે પ્રસૂતિ કદાચ કોઈ ઘરમાં જ થઈ હોઈ શકે છે. પ્રાથમિક તપાસમાં બાળકીની ડાબી આંખ પાસે લોહીના ડાઘા જોવા મળ્યા હતા, જે કદાચ તેને ફેંકી દેતી વખતે થયેલી ઈજા હોઈ શકે છે. પોલીસે 108 મારફતે નવજાતને હોસ્પિટલ ખસેડ્યું હતું, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યું હતું. મા-બાપની ઓળખ કરવા DNA સેમ્પલ લેવાયાપોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે ગોત્રી મેડિકલ કોલેજ ખાતે રવાના કર્યો છે. બાળકના અસલી માતા-પિતાની ઓળખ કરવા માટે DNA સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. આ ક્રૂર કૃત્ય આચરનાર જવાબદારોને શોધવા માટે પોલીસે આસપાસના CCTV અને હોસ્પિટલોના ડેટાની તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ એક માસૂમ જીવને આ રીતે રસ્તા પર મરવા માટે છોડી દેવો એ ખૂબ જ જઘન્ય અપરાધ છે અને આ મામલે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલની વિસંગતતાઓ સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગેટ બહાર વિરોધ પ્રદર્શન અને ધરણા કરવામાં આવ્યા હતા. ABVP એ કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી પોર્ટલની ખામીઓ સુધારવા અને રજિસ્ટ્રેશન ફી ઘટાડવાની માંગ કરી છે. જો વિદ્યાર્થી હિતમાં નિર્ણય નહીં લેવાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલા GCAS પોર્ટલમાં સર્વર ડાઉન થવા જેવી ટેકનિકલ સમસ્યાઓ અને પ્રવેશ પ્રક્રિયામાં વિલંબને કારણે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. રજિસ્ટ્રેશન માટે વસૂલવામાં આવતી ₹300ની ફી અને 33 જેટલા લાંબા રાઉન્ડ ચાલવા છતાં અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય છે. ખાસ કરીને, આ પોર્ટલમાંથી ખાનગી યુનિવર્સિટીઓને બાકાત રાખવામાં આવતા વિદ્યાર્થીઓને સમયસર સરકારી કોલેજોમાં પ્રવેશ મળતો નથી. પરિણામે, તેમને ખાનગી સંસ્થાઓમાં ઊંચી ફી ભરીને એડમિશન લેવાની ફરજ પડે છે. આ સ્થિતિને કારણે રાજ્યની સરકારી વિશ્વવિદ્યાલયો અને સંલગ્ન કોલેજોની હાલત કથળી રહી છે. ABVP પાટણ વિભાગ સંયોજક રાહુલ દેસાઈએ જણાવ્યું હતું કે પોર્ટલ પર 4.5 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ હજુ પણ પ્રવેશથી વંચિત છે. વિદ્યાર્થી સંગઠને માંગ કરી છે કે કાં તો ખાનગી યુનિવર્સિટીઓનો તાત્કાલિક GCAS માં સમાવેશ કરવામાં આવે અથવા તો આ પોર્ટલને માત્ર ડેટા એકત્રીકરણ પૂરતું મર્યાદિત રાખી પ્રવેશ પ્રક્રિયાને યુનિવર્સિટીઓને સોંપવામાં આવે. વધુમાં, રજિસ્ટ્રેશન ફી સંપૂર્ણપણે નાબૂદ કરી પ્રક્રિયા નિઃશુલ્ક બનાવવાની પણ માંગ કરવામાં આવી છે. અગાઉ પણ આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ ઉકેલ ન આવતા હવે ABVP એ ઉગ્ર વિરોધનો માર્ગ અપનાવ્યો છે.
સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પૂર્વે વોર્ડ નં. 8 (ડભોલી-સિંગણપોર) ના ભાજપના મહિલા ઉમેદવાર વંદનાબેન ઘોઘારી વિવાદમાં સપડાયા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે વંદનાબેનને ત્રણ સંતાનો હોવા છતાં તેમણે સોગંદનામામાં આ વિગત છુપાવી ચૂંટણી પંચને ગેરમાર્ગે દોર્યા છે. આ મામલે કોંગ્રેસ દ્વારા પુરાવા સાથે ચૂંટણી પંચમાં ગંભીર ફરિયાદ નોંધાવી ઉમેદવારી રદ કરવાની માંગ કરવામાં આવી છે. ઉલ્લેકનીય છે કે, આ ઘટનાથી સુરતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. જો આ આક્ષેપો સાચા સાબિત થશે, તો ભાજપના ઉમેદવારની ઉમેદવારી જોખમમાં મુકાઈ શકે છે. જોકે, દિવ્ય ભાસ્કરે વોર્ડ નંબર 8ના ઉમેદવાર વંદનાબેન ઘોઘારીને બાળકો અંગેનો સવાલ કરતાં જ તેઓએ હું પ્રચારમાં છું કહી ફોન કટ કરી નાખ્યો હતો. વિવાદનું મુખ્ય કારણ અને નિયમોગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નિયમો અનુસાર, બે થી વધુ સંતાનો ધરાવતા ઉમેદવાર ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે છે. કોંગ્રેસનો દાવો છે કે વંદનાબેન ઘોઘારીએ તેમના એફિડેવિટમાં સંતાનો હોવાનો ઉલ્લેખ જ કર્યો નથી, જે કાયદાકીય દૃષ્ટિએ ગંભીર ભૂલ ગણાય છે. સંતાનો અંગે કોંગ્રેસના આક્ષેપોકોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલી ફરિયાદમાં ઉમેદવારના વૈવાહિક જીવનના પાસાઓ ટાંકીને પુરાવા રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે, વંદનાબેનને તેમના પ્રથમ લગ્ન દરમિયાન બે બાળકો થયા હતા. પ્રથમ પતિ સાથે છૂટાછેડા લીધા બાદ ઠાકરશીભાઈ ઘોઘારી સાથેના બીજા લગ્નથી તેમને વધુ એક સંતાન પ્રાપ્ત થયું હતું. આમ, ટેકનિકલી રીતે વંદનાબેન કુલ ત્રણ સંતાનોના માતા હોવા છતાં તેમણે સોગંદનામામાં આ સત્ય છુપાવ્યું છે. ચૂંટણી પંચની કામગીરી સામે સવાલોશહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વોર્ડ નં. 8 સહિત અન્ય વોર્ડમાં પણ ભાજપના ઉમેદવારોએ સોગંદનામામાં ગંભીર ભૂલો કરી છે. વારંવાર લેખિત વાંધા ઉઠાવવા છતાં ચૂંટણી પંચ આ બાબતોની નોંધ લેતું નથી, જે તંત્રના પક્ષપાતી વલણ તરફ નિર્દેશ કરે છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
ચંદ્રુમાણામાં શ્રી નાથબાઈ માતાની રમેલ યોજાઈ:ચાવડા પરિવારોએ ચૈત્રી ભક્તિ કરી, શ્રદ્ધાળુઓ ઉમટ્યા
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના દરબારવાસમાં આવેલા શ્રી નાથબાઈ માતાના મંદિરે ચૈત્ર માસ નિમિત્તે ગુરુવારે રાત્રે માતાજીની રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમેલ ચાવડા પરિવારો દ્વારા યોજાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ, બહેનો અને બાળકો શ્રદ્ધાપૂર્વક ઉપસ્થિત રહી માતાજીની વંદના કરી હતી. આ પ્રસંગનું મુખ્ય યજમાનપદ રાજસ્થાનના નૈનાબા અર્જુનસિંહ રાઠોડે સંભાળ્યું હતું, જેઓ મૂળ ચંદ્રુમાણા ગામના વતની બાબુજી ચાવડાની દીકરી છે અને હાલ ગાંધીનગર પાસેના રતનપુર ગામે રહે છે. શ્રી નાથબાઈ માતાના ઉપાસકો જેવા કે સનાજી દરબાર, કંબોઈના મોહનસિંહ સોલંકી, કાલરીના વનરાજસિંહ સોલંકી, મનુજી દરબાર, સુજલસિંહ વિક્રમસિંહ ચાવડા, હાર્દિકભાઈ દેસાઈ અને ભોગીલાલ પ્રજાપતિ સહિત અન્ય શક્તિ ઉપાસકોએ ગાદી પરથી દૈવી શક્તિનું આવાહન કર્યું હતું. તેમણે સૌને સુખ-શાંતિ અને માતાજીની કૃપા પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ આપ્યા હતા. આ ધાર્મિક પ્રસંગે નરસંગભાઈ ચાવડા, ઉદાજી દરબાર, નરસંગજી દરબાર, ભુરાજી દરબાર, ગલાબજી દરબાર, જગુજી દરબાર, પમુજી દરબાર, રણજીતસિંહ દરબાર જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાન અને ગાંધીનગરથી આવેલા મહેમાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ પણ શ્રી નાથબાઈ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
વિજાપુર પંથકમાં 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી તરછોડી દેવાના ચકચારી કેસમાં મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 25 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સરકારી વકીલ પરેશકુમાર કે. દવેની ધારદાર દલીલો અને DNA રિપોર્ટના પુરાવાને ગ્રાહ્ય રાખી કોર્ટે ભોગ બનનાર સગીરા અને તેના બાળક માટે આર્થિક વળતર સહિત મહત્વનો આદેશ આપ્યો છે. સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતુંઆરોપી કૌશિકસિંહ મકવાણાએ સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરા ગર્ભવતી બન્યા બાદ તેણે બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ તે સમયે આરોપીએ સગીરા અને નવજાત બાળક બંનેને તરછોડી દીધા હતાં. DNA ટેસ્ટ કરવામાં આવ્યો હતોઆ મામલે કાયદેસરની કાર્યવાહી દરમિયાન આરોપીની ઓળખ અને પિતૃત્વ નક્કી કરવા માટે DNA ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં સાબિત થયું હતું કે આરોપી કૌશિકસિંહ જ તે બાળકનો જૈવિક પિતા છે. આરોપીને 25 વર્ષની કેદ અને રૂ 88,000નો દંડ ફટકાર્યો કોર્ટે આ કેસને ગંભીર ગણીને આરોપીને 25 વર્ષની કેદ અને રૂ 88,000 નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને રૂ 75,000 અને નિર્દોષ બાળકને રૂ 3 લાખ નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. કોર્ટે ખાસ તાકીદ કરી છે કે બાળક જ્યાં સુધી પુખ્ત વયનું ન થાય ત્યાં સુધી વળતરની આ રકમ ફિક્સ ડિપોઝિટ માં રાખવી. પિતાની મિલકતમાં વારસા હક્ક આપવાનો આદેશ કર્યોઆ ચુકાદામાં સૌથી મહત્વની બાબત એ રહી કે, DNA રિપોર્ટના આધારે આરોપી બાળકના પિતા તરીકે સાબિત થયો હોવાથી કોર્ટે વિશિષ્ટ સંજોગોને આધીન બાળકને પિતાની મિલકતમાં વારસા હક્ક આપવાનો પણ આદેશ કર્યો છે. ન્યાયતંત્રના આ કડક વલણથી સમાજમાં ગંભીર ગુના આચરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વોરાબજારમાં સોનીની દુકાનમાં ચોરી:3 અજાણ્યા શખ્સો દુકાનના તાળા તોડી રૂ. 10,000ની રોકડ લઈ ફરાર
ભાવનગર શહેરના વ્યસ્ત ગણાતા વોરાબજાર વિસ્તારમાં આવેલી એક સોનીની દુકાનને ગત રાત્રિએ તસ્કરોએ નિશાન બનાવી હતી. મોઢે રૂમાલ બાંધીને આવેલા ત્રણ અજાણ્યા શખ્સો દુકાનના તાળા તોડી અંદર પ્રવેશ્યા હતા અને ટેબલના કાઉન્ટરમાં રાખેલા અંદાજે રૂ. 10,000ની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ભોગ બનનાર વેપારીએ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. ચોરીની ઘટનાની વિગતઆંબાવાડી વિસ્તારમાં રહેતા અને વોરાબજારની દેસાઈ શેરીમાં સ્થિત નાણાંવટી ચેમ્બરમાં સોના-ચાંદીના દાગીનાનો વ્યવસાય કરતા જમનાદાસ રામજીભાઈ સોનીની દુકાનમાં આ બનાવ બન્યો હતો. રાત્રિના સમયે હથિયારો સાથે આવેલા ત્રણ શખ્સોએ સૌ પ્રથમ દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરાની તોડફોડ કરી હતી. ત્યારબાદ શટરના તાળા તોડી દુકાનમાં પ્રવેશી રોકડ રકમ ચોરી તેઓ હવેલી તરફ ભાગી ગયા હતા. સીસીટીવીમાં કેદ થઈ ઘટનાતસ્કરોએ વેપારીની દુકાનના કેમેરા તોડી પાડ્યા હોવા છતાં, તેમની તમામ હિલચાલ સામેની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં ત્રણ શખ્સો મોઢે રૂમાલ બાંધીને ચોરી કરતા સ્પષ્ટ દેખાય છે. પોલીસ તપાસસવારે વેપારી દુકાને પહોંચતા ચોરીની જાણ થઈ હતી, જેના પગલે તેમણે તાત્કાલિક ગંગાજળિયા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ બાદ, સુરત શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ તંત્ર અને ભાજપ સામે ગંભીર આક્ષેપો સાથે 'લોકશાહી બચાવો' રેલી યોજવામાં આવી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાનીમાં વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી યોજાયેલી આ રેલીમાં કાર્યકરોએ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો હતો અને પક્ષપાતી અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસ અધિકારીઓ પર ગંભીર આક્ષેપોકોંગ્રેસે સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ના અધિકારીઓ પર સીધો પ્રહાર કર્યો છે. આરોપ મુજબ, 15 એપ્રિલના રોજ SOGના DCP રાજદીપ નકુમ અને PI સોનારા ભાજપની 'બી ટીમ' તરીકે કાર્ય કરી રહ્યા હતા. કોંગ્રેસનો દાવો છે કે આ અધિકારીઓએ ઉમેદવારોને ધાક-ધમકી આપી ફોર્મ પાછા ખેંચાવવા મજબૂર કર્યા છે, જે સીધો આદર્શ આચારસંહિતાનો ભંગ અને લોકશાહીનું હનન છે. 'વિરોધ પક્ષના નેતાઓને નિશાન બનાવી રહ્યા છે'વિપુલ ઉધનાવાલાએ રેલી દરમિયાન જણાવ્યું હતું કે, SOGનું મુખ્ય કાર્ય આતંકવાદીઓ અને ડ્રગ્સ ડીલરો જેવા ગંભીર ગુનેગારોને પકડવાનું છે, પરંતુ આ અધિકારીઓ રાજકીય એજન્ડા હેઠળ વિરોધ પક્ષના નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. તેમણે વધુમાં પ્રશ્નો ઉઠાવ્યા હતા કે, છેલ્લા ચાર-પાંચ વર્ષથી એક જ સ્થાને ફરજ બજાવતા આ અધિકારીઓની બદલી કેમ કરવામાં આવતી નથી? વારંવારની ફરિયાદો છતાં તેમની સામે કોઈ તપાસ કેમ હાથ ધરવામાં આવતી નથી? અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવેકોંગ્રેસ પક્ષ દ્વારા આ મામલે રાજ્યપાલ, રાષ્ટ્રપતિ અને મુખ્ય ચૂંટણી કમિશનરને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં તેમણે માંગ કરી છે કે, પક્ષપાતી વર્તન કરનાર SOG અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. ચૂંટણી પ્રક્રિયામાં દખલગીરી રોકવા માટે આ અધિકારીઓની તુરંત બદલી કરવામાં આવે. SOGનું વિસર્જન કરી તેને નવેસરથી પ્રસ્થાપિત કરવામાં આવે. આ રેલી અને આવેદનપત્ર દ્વારા કોંગ્રેસે સુરતમાં નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા જાળવી રાખવા અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે દાખલારૂપ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સાગબારામાં LCBએ 1.47 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે બુટલેગર ઝડપાયો
નર્મદા જિલ્લાના સાગબારા વિસ્તારમાં સ્થાનિક ગુના શોધક શાખા (LCB) એ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. LCB ટીમે ગોડદા ગામના ત્રણ રસ્તા પાસેથી નંબર પ્લેટ વગરની એક્ટિવા પર દારૂ લઈ જઈ રહેલા એક બુટલેગરને પકડી પાડ્યો હતો. જપ્ત કરાયેલા દારૂ અને એક્ટિવા સહિત કુલ રૂ. 1,47,456 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રાજ્યમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, સંદીપ સિંહ અને નર્મદા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલની સૂચનાઓ અનુસાર, ખાસ કરીને પ્રોહિબિશનના કાયદાના કડક અમલ પર ભાર મૂકવામાં આવ્યો છે. ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે અસામાજિક પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. નર્મદા જિલ્લો ગુજરાતની સરહદ પર આવેલો હોવાથી, અહીંથી રાજ્યમાં વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો થતા રહે છે. દારૂના દુષણને ડામવા અને નેસ્તનાબૂદ કરવાના હેતુથી પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ચૌધરી, LCB, નર્મદાના માર્ગદર્શન હેઠળ LCB ટીમ સાગબારા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન, LCBના એ.એસ.આઈ. મોતીરામ સંજયભાઈ અને ચંદન સંપતને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, દેવમોગરાનો નરેશ ફુલસિંગ વસાવા ખડકાપાણી (મહારાષ્ટ્ર) તરફથી નંબર પ્લેટ વગરની એક્ટિવા ગાડીમાં દારૂ ભરીને આવી રહ્યો હતો. આ બાતમીના આધારે, ગોડદા ગામના ત્રણ રસ્તા પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. પોલીસે શંકાસ્પદ એક્ટિવાને કોર્ડન કરીને તપાસ કરતા, તેના આગળ અને પાછળ મૂકેલા બે મોટા કોથળામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, જેની કિંમત રૂ. 1,47,456 છે, તે જપ્ત કર્યો હતો અને આરોપી નરેશ ફુલસિંગ વસાવા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરમાં સામાન્ય જનતાના જીવ સાથે રમત રમનાર વધુ એક નકલી ડોક્ટર સામે કાયદાનો સકંજો કસાયો છે. મેડિકલ ક્ષેત્રે કોઈ પણ માન્ય લાયકાત કે ડિગ્રી ન હોવા છતાં, માત્ર કાગળના ટુકડાઓ પર બોગસ ડિગ્રી છપાવીને લોકોની સારવાર કરતા શખ્સને કોર્ટે કડક સજા ફટકારી છે. ડીંડોલી વિસ્તારમાં 'ઉંટ વૈદ' બનીને બેઠેલા આ શખ્સ સામે વર્ષો પહેલા નોંધાયેલી ફરિયાદમાં અંતે ન્યાય મળ્યો છે અને અદાલતે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. નકલી ડિગ્રીના જોરે ચલાવતો હતો ક્લિનિકસુરતના ડીંડોલી વિસ્તારમાં 'ગુરુકૃપા' નામે ક્લિનિક ચલાવતો દેવનારાયણ સૂર્યબલી પટેલ અસલમાં કોઈ ડોક્ટર નહોતો. મૂળ ઉત્તર પ્રદેશનો અને હાલ લિંબાયત વિસ્તારમાં રહેતો આ આરોપી લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને પ્રેક્ટિસ કરતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, તેની પાસે ડોક્ટર તરીકેની કોઈ માન્ય શૈક્ષણિક લાયકાત નહોતી. માત્ર પૈસા કમાવવાની લાલચે તેણે ગેરકાયદેસર રીતે બિહારની બી.આર. આંબેડકર યુનિવર્સિટીની બોગસ ડિગ્રીઓ મેળવી હતી. આ ડિગ્રીઓ તદ્દન નકલી હોવા છતાં તેને સાચી તરીકે ખપાવીને તે સુરતમાં દવાખાનું ખોલી બેઠો હતો. આરોપી દેવનારાયણની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેણે માત્ર બોગસ ડિગ્રી જ નહોતી બનાવી, પરંતુ તે દસ્તાવેજોના આધારે બિહાર રાજ્ય હોમિયોપેથિક ચિકિત્સા બોર્ડમાં રજીસ્ટ્રેશન પણ કરાવી લીધું હતું. આ રજીસ્ટ્રેશનના કાગળ બતાવીને તે સુરતના નિર્દોષ લોકોને છેતરતો હતો. વર્ષ 2008માં જ્યારે લિંબાયત પોલીસને આ મામલે શંકા ગઈ, ત્યારે ઊંડી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની ડિગ્રીઓ બોગસ હોવાનું સાબિત થતાં ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે ત્રણ વર્ષની કેદ અને દંડનો હુકમ કર્યોલાંબી કાનૂની લડત બાદ, સુરતની અદાલતે તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાને રાખીને દેવનારાયણ પટેલને દોષિત જાહેર કર્યો છે. અદાલતે નોંધ્યું હતું કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર તત્વો સામે કડક કાર્યવાહી જરૂરી છે. આથી, ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 465, 468 અને 471 હેઠળ આરોપીને ત્રણ વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, કોર્ટે તેના પર આર્થિક દંડ પણ લાદ્યો છે, જે સમાજમાં એક દાખલો બેસાડે છે. દંડ ન ભરે તો વધુ જેલ ભોગવવી પડશેસજાની વિગતો મુજબ કોર્ટે આરોપીને 1,000નો દંડ પણ ફટકાર્યો છે. જો આરોપી આ દંડની રકમ ભરવામાં નિષ્ફળ જશે તો તેણે વધુ 30 દિવસની સાદી કેદ ભોગવવી પડશે એવો સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે.
મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ વખત યોજાઈ રહેલી ઐતિહાસિક ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની મુદત પૂરી થતા જ હવે જંગનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લામાં કુલ 85 બેઠકો બિનહરીફ જાહેર થયા બાદ હવે 382 બેઠકો માટે રાજકીય પક્ષો વચ્ચે સીધો મુકાબલો શરૂ થયો છે. જોકે ચૂંટણી પ્રચારમાં નીકળેલા ઉમેદવારોને મતદારોના આકરા સવાલો અને સ્થાનિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સમસ્યાઓના ગંજ વચ્ચે ચૂંટણી પ્રચારમહેસાણા શહેરના વોર્ડ 12 માં ખાસ કરીને રોડ, ગટર અને પાણી જેવી પાયાની સુવિધાઓના અભાવે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા સવા વર્ષથી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી હોવા છતાં લોકપ્રતિનિધિઓના અભાવે વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતા અનેક કામો અટવાયેલા છે. વોર્ડ નંબર 12 માં કસબા સહિતના વિસ્તારોમાં ગટર લાઈનની કામગીરી બાદ બિસ્માર બનેલા રસ્તાઓ મુખ્ય મુદ્દો બન્યા છે. સ્થાનિકોની માંગ છે કે ચૂંટણી પહેલા જ આ સમસ્યાઓનો કાયમી નિકાલ કરવામાં આવે. ભાજપનો વિકાસનો દાવો અને આશા પટેલની ખાતરીવોર્ડ નંબર 12 ના ભાજપના ઉમેદવાર આશા પટેલે જણાવ્યું હતું કે ગટર લાઈનની કામગીરી 20 મીટર ઊંડી હોવાથી વરસાદી સીઝન અને જમીન બેસવાની રાહ જોવી અનિવાર્ય હતી. જનતાની માંગને ધ્યાને રાખીને તેમણે ખાતરી આપી છે કે કાલ સાંજ સુધીમાં રસ્તા પર એક લેયર બનાવી દેવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે મહાનગરપાલિકાનું બજેટ 1000 કરોડથી વધુ હોવાથી હવે વિકાસના કામોમાં તેજી આવશે અને ભાજપ તમામ પડતર પ્રશ્નો ઉકેલવા કટિબદ્ધ છે. વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે સત્તા પર ભાજપ જ આવશે, વિરોધીઓને સપના જોવાનો અધિકાર છે. કોંગ્રેસનો પરિવર્તનનો સૂર અને રણજીત સિંહનો જનસંપર્કબીજી તરફ વોર્ડ નંબર 2માં કોંગ્રેસના ઉમેદવાર અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રણજીત સિંહ મેદાનમાં છે. પ્રચાર દરમિયાન તેઓ સામાન્ય જનતા સાથે હળવા મળવા માટે ચાની ટપરી પર ચર્ચાઓ કરતા જોવા મળ્યા હતા. રણજીત સિંહે જણાવ્યું કે ડોર-ટુ-ડોર પ્રચાર દરમિયાન અનેક સોસાયટીઓમાં રસ્તા અને વીજળીના થાંભલા જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે મોંઘવારી અને અધૂરા વિકાસ કામોથી ત્રસ્ત જનતા આ વખતે કોંગ્રેસના પેનલને વિજયી બનાવવા માટે મક્કમ છે અને લોકો તરફથી પરિવર્તનનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મહાનગરપાલિકાના આ જંગમાં એક તરફ ભાજપ બજેટ અને મોટા પ્રોજેક્ટ્સના નામે મતો માંગી રહ્યું છે.તો બીજી તરફ કોંગ્રેસ સ્થાનિક રહીશોની નારાજગીને મતમાં બદલવા માટે પ્રયાસ કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે મહેસાણાની જનતા કોના વચનો પર વિશ્વાસ મૂકે છે.
નશાના કારોબાર સામે સખ્ત કાર્યવાહી:રાજ્યભરમાં PIT NDPS હેઠળ વધુ 5 રીઢા આરોપીઓ જેલમાં ધકેલાયા
ગુજરાતને નશામુક્ત બનાવવાના સંકલ્પ સાથે રાજ્ય પોલીસે 'ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે. નાર્કોટિક્સના કાળા કારોબારમાં સંકળાયેલા વધુ 5 રીઢા આરોપીઓને 'પીટ એનડીપીએસ' (PIT NDPS) એક્ટ હેઠળ અટકાયત કરી રાજ્યની વિવિધ જેલોમાં ધકેલી દેવામાં આવ્યા છે. ડ્રગ્સ માફિયાઓ માટે પોલીસનું અમોઘ શસ્ત્રજેમ અસામાજિક તત્વો સામે PASA લાગુ કરવામાં આવે છે, તેમ ડ્રગ્સના સોદાગરોને ડામવા માટે PIT NDPS (Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act) નો ઉપયોગ કરવામાં આવે છે. આ કાયદા હેઠળ આરોપીઓને પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં રાખવામાં આવે છે જેથી તેઓ ફરીથી નશીલા પદાર્થોના વેપાર, ખરીદી-વેચાણ અથવા પરિવહનમાં જોડાઈ ન શકે. ANTFએ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યાDGP-CID ક્રાઇમ ડૉ. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા પાંચ જિલ્લાઓમાં ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જેમાં બાબુભાઈ નીનામા (ઉં.વ. 49 રહે. ભિલોડા, અરવલ્લી), ઈશ્વર ઉર્ફે હેંડલ સલાટ (ઉં.વ. 28 રહે. પાલનપુર, બનાસકાંઠા), મનોજગીરી ગોસ્વામી (ઉં.વ. 45 રહે. વાંસદા, નવસારી), વાહીદ પંજા (ઉં.વ. 50 રહે. જૂનાગઢ), ઇમરાન બેલીમ (ઉં.વ. 32 રહે. રાજકોટ)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસનું આક્રમક અભિયાનગુજરાત સરકાર અને પોલીસ તંત્રના આંકડાઓ દર્શાવે છે કે નશીલા પદાર્થો સામેની લડાઈ તેજ બની છે. ગુજરાતને ‘નશામુક્ત’ બનાવવાના સંકલ્પ સાથે સરકાર અને પોલીસ તંત્ર દ્વારા આવનારા સમયમાં પણ આ પ્રકારની કડક કામગીરી યથાવત રાખવામાં આવશે.
મહાદેવનગરમાં રહેણાંક મકાન પર પોલીસની રેડ:30 હજારનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો, બુટલેગર ફરાર
ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે આખલોલ જકાતનાકા પાસે આવેલ મહાદેવનગરમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, પોલીસ રેડ દરમિયાન આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ઇંગ્લિશ દારૂની કુલ 67 બોટલો મળી આવી બોરતળાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે મહાદેવનગરમાં રહેતો કૃષ્ણદેવ ઉર્ફે કિશન મનુભાઈ ગોહિલ પોતાના ઘરે દારૂનો જથ્થો છુપાવી રાખી વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે કૃષ્ણદેવના મકાનમાં રેડ કરી હતી. તપાસ દરમિયાન મકાનના રૂમમાંથી અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની કુલ 67 બોટલો મળી આવી હતી, જેમાં: પોલીસના દરોડા દરમિયાન બુટલેગર કૃષ્ણદેવ ઉર્ફે કિશન હાજર મળી આવ્યો ન હતો. આથી પોલીસે દારૂનો જથ્થો કબજે કરી, ફરાર આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
પંચમહાલ ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 17 કાર્યકરોને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ શિસ્તભંગના મામલે કડક વલણ અપનાવી આ કાર્યવાહી કરી છે. આ કાર્યકરોને પક્ષ દ્વારા ટિકિટ ન ફાળવવામાં આવતા તેઓ નારાજ થયા હતા. નારાજગીના કારણે કેટલાક કાર્યકરોએ અન્ય પક્ષ (કોંગ્રેસ) માંથી અથવા અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે કેટલાક કાર્યકરો પક્ષમાં રહીને જ પ્રતિસ્પર્ધી ઉમેદવારોને મદદ કરતા હોવાનું પક્ષના ધ્યાન પર આવ્યું હતું. સસ્પેન્ડ કરાયેલા કુલ 17 કાર્યકરોમાં કાલોલના 6, મોરવા હડફના 4, ઘોઘંબાના 4 અને ગોધરા નગરપાલિકાના 3 કાર્યકરોનો સમાવેશ થાય છે. આ તમામ કાર્યકરોએ પક્ષના આદેશનું ઉલ્લંઘન કર્યું હતું. ભાજપના પ્રદેશ નેતૃત્વ અને જિલ્લા સંગઠન દ્વારા આ મામલે ગંભીર નોંધ લેવામાં આવી હતી. પક્ષમાં શિસ્ત જાળવવા અને બગાવત કરનારાઓને કડક સંદેશ આપવાના હેતુથી આ તમામ 17 વ્યક્તિઓને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી 5 વર્ષ માટે દૂર કરવાનો નિર્ણય લેવાયો છે.
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની આગામી 2 એપ્રિલના રોજ યોજવામાં આવશે ત્યારે વડોદરા શહેર ભાજપ દ્વારા મહાનગરપાલિકાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. શહેરીજનોને હાલમાં સૌથી વધુ મુશ્કેલી પાણીની પડી રહી છે જેથી ચૂંટણી ઢંઢેરામાં સૌથી પહેલા પાણીની સમસ્યા હાલ કરવા માટેનો વાયદો કરાયો છે. આગામી દિવસમાં વસ્તી મુજબ 200થી 250 MLD પાણી વધુ મળતું થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં નવી ટેક્નોલોજીથી રોડ બનાવવામાં આવશેશહેર અધ્યક્ષ ડો. જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં નિતનવા રોડ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ રોડને નવી ટેક્નોલોજીની મદદથી બનાવવામાં આવશે જેથી રોડ ઉપર રોડનું લેયર આવે તો અન્ય વિસ્તાર નીચાણમાં ન જતો રહે. આ ઉપરાંત નવા બ્રિજની કામગીરી પણ હાલ ચાલી રહી છે. આગામી દિવસોમાં તે કામગીરીને પણ આગળ ધપાવવામાં આવશે. વિશ્વામિત્રી નદીની વહન ક્ષમતા વધીચૂંટણી ઢંઢેરો જાહેર કરી રહેલા શહેર પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી કરવામાં આવી તેના કારણે નદીની વાહનક્ષમતામાં વધારો થયો છે. 1500 કયૂમેક પાણી વધુ વહી શકે તેવી વ્યવસ્થા થઇ ચુકી છે. શહેરને પુરમાંથી બચાવવા માટેનું આ મહત્વપૂર્ણ પગલું હતું. 2 લાખથી વધુ વૃક્ષો વાવવાનું આયોજનવડોદરા શહેરમાં પર્યાવરણની જાળવણી માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં વિવિધ અર્બન ફોરેસ્ટ ઉભા કરવા ઉપરાંત લિનિયર પાર્ક બનાવવાનું પણ આયોજન છે. શહેરમાં ઇલેક્ટ્રિક બસ મારફતે ટ્રાન્સપોર્ટેશન શરુ થશે આ ઉપરાંત શહેરમાં વિવિધ સ્થળોએ 2 લાખથી વધુ વૃક્ષો વાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ચૂંટણી ઢંઢેરાની મોટી મોટી જાહેરાત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારોની નારાજગી BJPના કાર્યકરોમાં યથાવત છે. ટિકિટ વહેચણીને લઈને ધારાસભ્યો પોતાના માનીતા લોકોને ટિકિટ અપાવવા માટે પ્રદેશ પાર્લામેન્ટરી સુધી રજૂઆત કરી હતી. ત્યારે તેમના જ લોકોને ગોઠવી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ સોશિયલ મીડિયામાં જોવા મળ્યો છે. અમદાવાદના અમરાઈવાડી વિધાનસભા ભાજપના ગ્રુપના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સોશિયલ મીડિયા પર મહિલા કાર્યકર્તાઓએ પોતાનો રોષ હાલ આવ્યો છે. જેમાં સ્ક્રીનશોટ મુજબ, ઋષિકેશ પટેલ સમાજનું કામ કરી શકતા નથી, તો રાજ્યનું શું કામ કરશે. પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા નહીં પરંતુ પૈસાવાળા અને પોતાના માનીતા લોકોને જ ગોઠવવામાં આવ્યો હોવાના આક્ષેપો કરતા મેસેજ કર્યા છે. ટિકિટ વહેચણીમાં અમરાઈવાડીના ધારાસભ્યએ મોટો વહીવટ કર્યો હોવા અંગેનો પણ મેસેજ કરવામાં આવ્યો છે. 'અમરાઈવાડી વોર્ડની મહિલા ઉમેદવાર સક્રિય સભ્ય નથી'અમદાવાદના અમરાઈવાડી વિધાનસભાના ભાજપના ગ્રુપના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં મહિલા કાર્યકર્તાઓએ પોતાનો બળાપો ઠાલવ્યો છે. અમરાઈવાડી વોર્ડની મહિલા ઉમેદવાર સક્રિય સભ્ય નથી, વોર્ડમાં કોઈ કામમાં નથી આવ્યા બાયોડેટા નથી આપ્યો અને સેન્સ પણ નથી આપી છતાં પણ ટિકિટ આપી દેવામાં આવી છે. 'ઋષિકેશ પટેલ સમાજનું કામ કરી શકતા નથી, તો રાજ્યનું શું કામ કરશે'સ્ક્રીનશોટ મુજબ વધુમાં, જેના ઉપર વિશ્વાસ મૂક્યો એમણે જ કામની કદર કરી નથી. સક્ષમ પૈસાવાળા લોકો જ ચાલે છે. પાર્ટીના સિનિયર અને વફાદાર લોકો જોઈતા નથી. રાજ્યના મંત્રી અને અમદાવાદના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ વિશે પણ ગ્રુપમાં મેસેજ લખવામાં આવ્યો છે કે, ઋષિકેશ પટેલ સમાજનું કામ કરી નથી શકતા તો રાજ્યનું શું કામ કરશે. '2027માં પિક્ચર સાફ થઈ જશે', સો. મીડિયામાં મહિલાઓનો બળાપોગ્રુપમાં વાયરલ થયેલા મેસેજમાં ધારાસભ્ય જ બધું રાંધ્યું છે અને પીઠ પાછળ ઘા માર્યો છે એવું લખવામાં આવ્યું છે. વહીવટ પણ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. વર્ષ 2027માં પિક્ચર સાફ થઈ જશે. સોશિયલ મીડિયામાં ભાજપના ગ્રુપમાં જે પ્રમાણે મહિલા કાર્યકર્તાઓએ બળાપો ઠાલવ્યો છે તેને જોતા મહિલા કાર્યકર્તાઓ આગામી ચૂંટણીમાં અમરાઈવાડી વિસ્તારમાં ઉમેદવારોને લઈને ભારે નારાજ છે. આક્ષેપો કરતા મેસેજો સોશિયલ મીડિયામાં વાયરલ હિન્દી ભાષા લોકોનો પણ વોટ નથી જોઈતાં. પાર્ટીના સારા નહીં પરંતુ મારા જ લોકો જોઈએ છે એવો આક્ષેપો કરતા મેસેજો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તેને લઈને અમરાઈવાડી વિધાનસભામાં પણ ટિકિટ વહેંચણીને લઈને ખૂબ જ નારાજગી જોવા મળી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતાં આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આજે AAP દ્વારા ‘બૂથ મેનેજમેન્ટ ટ્રેનિંગ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે હાજરી આપી અને ઉમેદવારો તથા કાર્યકર્તાઓને ચૂંટણી માટેની વ્યૂહરચના સમજાવી હતી. તેમની સાથે મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડૉ. જ્વેલ વસરા, અમદાવાદ શહેર પ્રમુખ વિજય પટેલ, દિલ્હી ધારાસભ્ય સંજીવ ઝા, ઉપપ્રમુખ ગૌરી દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગોપાલ રાયે જણાવ્યું કે, આમ આદમી પાર્ટી દરેક બૂથ પર મજબૂત સ્થિતિમાં છે અને તમામ કાર્યકર્તાઓ એકજૂટ થઈને ચૂંટણીમાં ઉતરશે. તેમણે ભાજપના લાંબા સમયથી ચાલી રહેલા શાસનને શોષણનું શાસન ગણાવીને તેને હરાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. તેમણે કાર્યકર્તાઓમાં જોશ અને આત્મવિશ્વાસ ભરીને કહ્યું કે અમદાવાદમાં પરિવર્તન લાવવા માટે પાર્ટી સંપૂર્ણ રીતે સજ્જ છે અને આ ચૂંટણીમાં નવો ઇતિહાસ રચવામાં આવશે. AAPના ઉમેદવારો અને બૂથ પ્રમુખોને માર્ગદર્શન આપતાં તેમણે જીત માટે સંપૂર્ણ તાકાતથી કામ કરવાની અપીલ કરી હતી.
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા.’
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયામાં સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવતી કથિત ગેરરીતિઓ અને દબાણની રાજનીતિ સામે આજે જૂનાગઢના ઐતિહાસિક ગાંધી ચોક ખાતે કોંગ્રેસ દ્વારા 'લોકશાહી બચાવો' અભિયાન હેઠળ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ ધરણા પર બેસી ભાજપ સરકારની નીતિઓ સામે આકરા પ્રહારો કર્યા હતા. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં લોકશાહીની જાહેરમાં હત્યા થઈ રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારી ફોર્મ ભરવાથી લઈને ફોર્મ ખેંચવાની પ્રક્રિયા સુધી સત્તાધારી પક્ષ દ્વારા સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, ભાજપના ઈશારે સરકારી અધિકારીઓ પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે અને કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવા-ધમકાવવામાં આવી રહ્યા છે. ધરણા દરમિયાન કોંગ્રેસ નેતાઓએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, લોકશાહીના મૂલ્યોને નેવે મૂકીને ગુંડા તત્વો દ્વારા ઉમેદવારોને ધમકીઓ આપી ફોર્મ પાછા ખેંચાવવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. અમિત પટેલે સવાલ ઉઠાવ્યો હતો કે, જો ભારતીય જનતા પાર્ટી પાસે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીની સત્તા હોય, તો તેમને વિપક્ષના ઉમેદવારોથી આટલો બધો ડર શેનો છે? ભાજપ દ્વારા ઊભા કરવામાં આવેલા ડરના માહોલથી સામાન્ય નાગરિકો હેરાન-પરેશાન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ, આજે સમગ્ર ગુજરાતના જિલ્લા મથકો પર ધરણાના કાર્યક્રમો યોજાયા છે. જૂનાગઢમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ભાજપની ‘તાનાશાહી’ સામે રોષ ઠાલવ્યો હતો. નેતાઓએ ભારપૂર્વક કહ્યું કે, આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, અહીં લોકશાહીના મૂલ્યોનું જતન કરવું એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે. કોંગ્રેસના આ ધરણા પ્રદર્શનને પગલે ગાંધી ચોક વિસ્તારમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ અંતમાં ચીમકી ઉચ્ચારી હતી કે જો લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલ સુમન નિવાસ આવાસમાં ગત રાત્રે બાળકોના રમત-ગમતના ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. માત્ર 'દડો કેમ વાગ્યો' તે મુદ્દે થયેલી બોલાચાલીમાં એક પરિવારે બીજા પરિવાર પર લાકડાના બેટ અને ફટકા વડે ખૂની હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના દૃશ્યો સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે, જેમાં આરોપીઓ બેફામ બનીને હુમલો કરતા દેખાઈ રહ્યા છે. બાળકોની રમતમાંથી સર્જાયું મહાભારતપ્રાપ્ત વિગતો અનુસાર, ગત 15 એપ્રિલના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ સુમન નિવાસ આવાસના ગાર્ડનમાં બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા. આ દરમિયાન ફરિયાદી જીજ્ઞેશભાઈ ઓડના ભત્રીજા આરવ સાથે આરોપી રત્નકલાકાર શુભમ ભાલીયાને દડો વાગવા બાબતે તકરાર થઈ હતી. બાળકો વચ્ચેની વાત જ્યારે વડીલો સુધી પહોંચી ત્યારે મામલો થાળે પાડવાને બદલે હિંસામાં પરિણમ્યો હતો. રત્નકલાકાર પિતા-પુત્ર અને પત્નીએ મળીને બેટથી હુમલો કર્યોફરિયાદી જીજ્ઞેશભાઈ જ્યારે આરોપીને સમજાવવા ગયા ત્યારે આરોપી રત્નકલાકાર અનિલ ભાલીયા, તેનો પુત્ર શુભમ અને પત્ની લાકડાનું બેટ લઈને નીચે ધસી આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદી જીજ્ઞેશભાઈને ગંદી ગાળો આપી માથાના ભાગે બેટનો ફટકો મારી દીધો હતો. જ્યારે તેમના ભાઈ સુનીલભાઈ વચ્ચે છોડાવવા પડ્યા તો આરોપી શુભમે તેમના માથામાં પણ લાકડાનો ફટકો મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં બંને ભાઈઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. ‘આજે તો બચી ગયા, હવે જીવતા નહીં મૂકીએ’સોસાયટીના લોકો એકઠા થઈ જતા આરોપીઓ ત્યાંથી ભાગ્યા હતા પરંતુ, જતી વખતે પણ તેઓએ આતંક મચાવ્યો હતો. આરોપી અનિલ ભાલીયાએ જાહેરમાં ધમકી આપી હતી કે, આજે તો બચી ગયા છો, ફરી હાથમાં આવશો તો જીવતા નહીં મૂકીએ. આ ધમકીના કારણે સોસાયટીના અન્ય રહીશોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે આરોપીઓનું જાહેરમાં રી-કન્સ્ટ્રક્શન કરાવ્યુંઘટનાની ગંભીરતા જોઈને ઉત્રાણ પોલીસનો કાફલો હરકતમાં આવ્યો હતો. પોલીસે મુખ્ય આરોપી અનિલ ભાલીયા, શુભમ ભાલીયા અને એક મહિલાની ધરપકડ કરી છે. આરોપીઓનો ડર દૂર કરવા માટે પોલીસે તેઓને ઘટનાસ્થળે લઈ જઈ સીન રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસે આરોપીઓ વિરુદ્ધ B.N.S.S.ની કલમ 118(1), 118(2) (ગંભીર ઈજા પહોંચાડવી), 296(B), 351(3) (જાનથી મારી નાખવાની ધમકી) અને જી.પી. એક્ટ 135 મુજબ ગુનો નોંધી જેલભેગા કર્યા છે.
મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં મતદાન જાગૃતિ માટે એક આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-2026 માં મતદાનની ટકાવારી વધારવા અને પ્રત્યેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા SVEEP કાર્યક્રમ અંતર્ગત આ પહેલ કરાઈ છે. જિલ્લા વહીવટી તંત્રના કર્મયોગીઓ દ્વારા તૈયાર કરાયેલી આ રંગોળીમાં મારો મત, મારો અધિકારનું પ્રેરણાદાયક સૂત્ર કંડારવામાં આવ્યું છે. આકર્ષક રંગો અને ડિઝાઇન દ્વારા લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અને અચૂક મતદાન કરવા માટેનો સકારાત્મક સંદેશ કચેરીની મુલાકાતે આવતા અરજદારો, નાગરિકો અને અધિકારી-કર્મચારીઓને આપવામાં આવ્યો હતો. મહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અર્પિત સાગરે આ મતદાન જાગૃતિ રંગોળીની વિશેષ મુલાકાત લીધી હતી. કલેક્ટરશ્રીએ વહીવટી તંત્રના સ્ટાફની આ કલાત્મક અને પ્રેરણાદાયી કામગીરીની સરાહના કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, કળા અને રંગો લોકોના હૃદય અને માનસ સુધી પહોંચવાનું એક સબળ માધ્યમ છે. સરકારી કચેરીમાં આવતા નાગરિકો જ્યારે આવા સંદેશાઓ જોશે, ત્યારે તેઓ ચોક્કસપણે મતદાન પ્રત્યે વધુ જાગૃત બનશે. મહીસાગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના તમામ પ્રબુદ્ધ નાગરિકો અને ખાસ કરીને યુવા મતદારોને અપીલ કરવામાં આવી છે કે, લોકશાહીના આ ઉત્સવમાં કોઈપણ જાતના પ્રલોભન કે ભય વિના, સ્વૈચ્છિક અને નૈતિક મતદાન કરી પોતાની રાષ્ટ્રીય ફરજ અદા કરે.
બોટાદ નગરપાલિકાની ચૂંટણી નજીક આવતા શહેરમાં રાજકીય ગરમાવો વધ્યો છે. આ માહોલ વચ્ચે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બોટાદના તમામ ૧૧ વોર્ડના કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરો એકત્ર થયા હતા. તેમણે શહેરમાં એક ભવ્ય બાઈક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી પાળીયાદ રોડથી શરૂ થઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. રેલી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારોએ નાગરિકોને પક્ષને સમર્થન આપવા અને મતદાન કરવા અપીલ કરી હતી. આ બાઈક રેલી દ્વારા કોંગ્રેસે ચૂંટણી પૂર્વે પોતાનું શક્તિ પ્રદર્શન કરી રાજકીય માહોલ ગરમાવ્યો છે. બોટાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રવિણ ડેરવાળીયાએ આ બાઈક રેલી અંગે માહિતી આપી હતી.
રાજ્ય સરકાર દ્વારા અનાથ, ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ખાનગી શાળાઓમાં ધોરણ 1 માં પ્રવેશ મેળવી ધોરણ 8 સુધી મફત શિક્ષણ મેળવી શકે તે માટે રાઇટ ટૂ એજ્યુકેશનનો કાયદો છે. જે અંતર્ગત ઓનલાઇન ફોર્મ ભરવાની 17 એપ્રિલના છેલ્લી તારીખ છે. આ વખતે RTE એડમિશનમાં રહેઠાણના પુરાવા તરીકે રાશનકાર્ડ માન્ય રાખવામાં આવ્યું નથી. આ ઉપરાંત આંગણવાડીના બાળકોને પ્રાયોરિટી કેટેગરીમાં પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં RTE ની 6062 સીટ સામે 20,333 ફોર્મ ભરાયા છે. કુલ જગ્યા સામે ત્રણ ગણાથી વધુ ફોર્મ ભરાયા છે. જેથી એવું ચોક્કસ કહી શકાય કે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ મળતા નથી અને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ માટે વિદ્યાર્થીઓની કતાર લાગે છે. વાલી કૃણાલ રાઠોડ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 14 માં ધારાસભ્ય રમેશ ટીલાળાનું કાર્યાલય આવેલું છે ત્યાં RTEનું ફોર્મ ભરવા માટે આવ્યા છીએ. હું લક્ષ્મીવાડી વિસ્તારમાંથી આવું છું. હું પ્રાઇવેટ જોબ કરું છું. મેં ધોળકિયા, સરસ્વતી અને ગુરુકુળ સ્કૂલ પસંદ કરી છે. સરકારી યોજનાનો ફાયદો થાય છે પરંતુ રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ એડમિશનમાં કોઈ વખત વારો આવે તો આવે બાકી ન પણ આવે. મારે બાળક છે તેના RTE માં એડમિશન માટે અહીં ઓનલાઇન ફોર્મ ભરવા માટે આવ્યો છું. જ્યારે અન્ય વાલી ભાવેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, હું કોઠારીયા નાકા વિસ્તારમાં રહું છું. હું RTE નું ફોર્મ ભરવા અહીં ધારાસભ્યની ઓફિસે આવ્યો છું. અહીં ખુબ સરસ રીતે અને ઝડપથી ઓનલાઇન ફોર્મ ભરી દેવામાં આવ્યું. મેં મારા દીકરાના RTE માં એડમિશન માટે શુભમ, જી. ટી. શેઠ અને ગુરુકુળ સ્કૂલ પસંદ કરી છે. મારા બાળકોને નર્સરી પંચનાથ અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં કરાવ્યું હતું અને હવે ધોરણ 1 માં RTE હેઠળ અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં બાળકને અભ્યાસ કરાવવા માગું છું. ધારાસભ્ય રમેશ ટીલાળાની ઓફિસમાં કાર્યલય સંભાળતા અભિષેક વાડોદરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની RTE ની જે યોજના છે તે અંતર્ગત વાલીઓને પોતાના બાળકને ખાનગી સ્કૂલમાં ફ્રી એજ્યુકેશન માટેના ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો તે નિઃશુલ્ક ભરી આપવામાં આવે છે. અહીં અત્યારસુધીમાં 60 થી વધુ વાલીઓને આ ફોર્મ વિનામૂલ્યે ભરી આપ્યા છે. આજે 17 એપ્રિલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે વાલીઓનો ધસારો વધુ છે. રાજકોટ શહેરમાં RTE હેઠળ ખાનગી શાળાઓમાં ધોરણ 1 માં પ્રવેશપાત્ર 4043 સીટ છે. જેની સામે 17 એપ્રિલના બપોર સુધીમાં 12051 એપ્લિકેશન આવી ચૂકી હતી. જેમાંથી 8951 અરજીઓ મંજૂર થઈ છે. જ્યારે 654 અરજી રિજેક્ટ તો 1916 અરજી અલગ અલગ કારણોસર કેન્સલ કરવામાં આવી છે. જ્યારે 530 અરજીઓ પેન્ડિંગ છે. આ ઉપરાંત જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકની ખાનગી શાળાઓમાં 2019 સીટ સામે 8282 અરજીઓ આવી છે. 17 એપ્રિલના રાત્રે 12:00 વાગ્યા સુધી વાલીઓ પોતાના બાળકના આરટીઇમાં એડમિશન માટે ઓનલાઇન ફોર્મ ભરી શકશે. રાજ્યના નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના ઉપસચિવ અમિત સંગાડા દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે,રાશનકાર્ડ ઓળખના દસ્તાવેજ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય રાખી શકાશે નહીં. જેથી RTE હેઠળ એડમિશન વખતે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે રાશનકાર્ડ માન્ય ગણવામાં આવ્યું નથી. આ ઉપરાંત રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને ધોરણ 1 માં RTE માં એડમિશનમાં પ્રાયોરિટી આપવામાં આવી નથી. ગત વર્ષે પ્રયોરીટી કેટેગરીમાં આંગણવાડીના બાળકો 9 માં ક્રમે હતા. જે હવે પાછળ ધકેલાઈને 12 માં ક્રમે આવી ગયા છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી ભારે ગરમાગરમી જોવા મળી રહી છે. વિકાસની વાતો કરતા ભાજપના નેતાઓને લોકો વચ્ચે જવું ભારે પડી રહ્યું હોય તેવી ત્રણ ઘટના સામે આવી છે. ભાજપના ગઢ ગણાતા વોર્ડ નંબર 28માં પ્રચાર માટે ગયેલા નેતાઓને જોઈને એક સ્થાનિક વ્યક્તિએ વીડિયો શરૂ કરી પાણી ભરાવા મુદ્દે રોષ ઠાલવ્યો હતો. આ સમયે ભાજપના નેતાઓ ગુડ્ડાઓની જેમ ઉગ્ર બોલાચાલી સાથે હાથાપાઈ પર ઉતરી આવ્યાં હતાં. તો વોર્ડ નંબર 24માં મહિલાઓએ ઉમેદવાર સહિતનાને ઘેરી 30 વર્ષનો હિસાબ માગી ભરબજારમાં ફજેતી કરી હતી. ત્રીજા બનાવમાં પણ સ્થાનિકના પ્રશ્નો સાંભણીને નેતાઓને ભાગવું પડ્યું હતું. વર્ષો બાદ ચૂંટણી ટાળે દેખાતા નેતાઓને ત્રણ ઘટનામાં જનતાના બરોબરના આશિર્વાદ મળ્યાં! વોર્ડ-28: પાણી ભરાવા મુદ્દે ભાજપના નેતા અને સ્થાનિક બાખડ્યાંઉધનાના વોર્ડ નંબર 28માં ભાજપના ઉમેદવારો વિનોદ પટેલ અને શરદ પટેલ જ્યારે સોસાયટીમાં પ્રવેશ્યા ત્યારે રસ્તાઓ પર ડ્રેનેજ મિશ્રિત પાણી વહી રહ્યા હતા. આ સમયે એક સ્થાનિકે પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો શરૂ કરી રસ્તા પર ભરાયેલા પાણી મુદ્દે વિરોધ કર્યો હતો. વીડિયો મુજબ, અહીં સ્થાનિક રહીશે રોષ સાથે રહ્યું કે, આ પાંચ વર્ષ પછી જે ભિખારીઓ વોટ માંગવા આવ્યા છે, તેમને પૂછો કે આ ગંદા પાણીમાં અમે કેવી રીતે રહીએ છીએ? આ બધા ભાજપના દલાલો અને ભ્રષ્ટાચારી છે. સ્થાનિકના આ શબ્દો સાંભણીને કેટલાંક લોકો વિવાદમાં ઉતરી આવ્યાં હતાં અને ભાજપના કાર્યકરો અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર ‘તું તું-મેં મેં’ થઈ હતી. નેતાઓ એમ કહી રહ્યાં હતા કે, આ પાણી બાંધકામનું છે, ત્યારે લોકોએ તેમને પડકાર ફેંક્યો હતો. થોડી વારમાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને ભાજપના ઉમેદવારો સાથે આવેલા એક વ્યક્તિએ સ્થાનિક સાથે હાથાપાઈ કરી કરી હતી. સ્થાનિકો આક્ષેપ કર્યો કે, તેને માર માર્યો એટલે હવે તે પોલીસ ફરિયાદ કરશે. વીડિયોમાં ભાજપના કેટલાક નેતાઓની ગુડ્ડાઓ જેવી હરકત પણ જોવા મળી રહી છે. લોકોએ આરોપ લગાવ્યો કે, નેતાઓ અને તેમના ચમચાઓ જનતા પર હાથ ઉપાડી રહ્યા છે. આ સમયે અન્ય એક વ્યક્તિએ આવી સમસ્યા ખોટી ન હોવાનું કહી ઉધડો લીધો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા જ ભાજપની શિસ્તના ધજાગરા ઉડ્યા છે. વોર્ડ-24: ‘નેતાઓ માત્ર પોતાનો જ સ્વ-વિકાસ કરી રહ્યા છે’ઉધના દક્ષિણના વોર્ડ નંબર 24માં આવતી કૈલાસનગર સોસાયટીમાં જ્યારે માજી કોર્પોરેટર સોમનાથ મરાઠે અને ધારાસભ્ય મનુ પટેલ પ્રચાર માટે પ્રવેશતા જ વાતાવરણ એકાએક બદલાઈ ગયું હતું. નેતાઓ હજુ તો વિકાસની વાત શરૂ કરે તે પહેલા જ સોસાયટીની મહિલાઓએ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. ‘ભાઈ, છેલ્લા 30 વર્ષમાં જો કામ કર્યું હોત તો આજે આ દિવસ ન આવત...’ આ એક જ વાક્યમાં કૈલાસનગરની મહિલાઓએ નેતાઓની 30 વર્ષની સત્તાનો હિસાબ માંગી લીધો હતો. મહિલાઓએ આક્ષેપ કર્યો કે, નેતાઓ માત્ર પોતાનો જ સ્વ-વિકાસ કરી રહ્યા છે, સામાન્ય પ્રજા હજુ પણ પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહી છે. હરિધામ અને કૈલાસનગરની મહિલાઓએ એકજુટ થઈને કહ્યું કે, અમને મફતની રેવડીઓ નથી જોઈતી, અમને સ્વચ્છ, પાણી અને સારા રસ્તા આપો. નેતાઓ દ્વારા કરવામાં આવતા ‘ખુલાસા’ હવે જનતા ગળે ઉતારવા તૈયાર નથી. સ્થાનિકોનું કહેવું છે કે, ચૂંટણી આવે ત્યારે જ નેતાઓ મૌન છોડીને પ્રચારમાં નીકળે છે, પણ બાકીના પાંચ વર્ષ તેઓ જનતાના ફોન પણ ઉપાડતા નથી. વોર્ડ-7: રોડ-રસ્તા મુદ્દે રઘું ખૂંટનો સતત બીજા દિવસે વિરોધકતારગામ-વેડ વોર્ડ નંબર 7ની શંકરનગર સોસાયટીમાં પ્રચાર માટે પહોંચેલા ભાજપના ઉમેદવાર રઘુ ખૂંટને બીજા દિવસે વિરોધનો સામેનો કરવો પડ્યો છે. એક સ્થાનિકે રોડની લંબાઈ અને દબાણને લઈને કહ્યું કે, તમે આવ્યાં તે રોડ જોયો તમે. આ દિવાલ બહાર બનાવેલી છે, તમને દેખાતી નથી. ત્યારે નેતાઓ ભાગતા સ્થાનિકે પીછો કરીને કહ્યું કે, ભાગો છો શું કામ? આ સમયે ભાજપના અન્ય લોકોએ રહીશને સમજાવતા સ્થાનિકો સોખ્ખા શબ્દોમાં કહ્યું કે, ટાળે ફોન કરવા છતાં પણ કોઈ ફોન ઉપાડ તું નથી. વિરોધ જોઈને તમામ નેતાઓ ચૂપચાપ શંકરનગર સોસાયટીમાં બહાર નીકળી ગયાં હતાં. ગઈકાલે પણ નંદુ દોશી વાડીમાં એક મતદાતાએ રઘુ ખૂંટને ઉદ્દેશીને જાહેરમાં ગર્જના કરતા કહ્યું કે, અમે તમને વ્યક્તિગત રીતે ઓળખતા નથી, પરંતુ તમારું નામ સાંભળ્યું છે. જે 10 મકાનો હટાવ્યા અને સમજુબા હોસ્પિટલ પાસે જે કામગીરી થઈ, તેમાં તમે કેટલી વાર ડિમોલિશન કરાવ્યું છે એ હું સારી રીતે જાણું છું. મારી પાસે આ તમામ બાબતોના પાકા પ્રૂફ છે. હું જાહેરમાં આ બધું કહેવા તૈયાર છું કે, તમે ક્યાં અને કેવી રીતે ડિમોલિશન કરાવ્યું છે. મતદાતાના આ રોકડા નિવેદન બાદ ભાજપના નેતાઓ પાસે કોઈ જવાબ રહ્યો નહોતો.
મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે 'જિલ્લા રોડ સેફ્ટી કમિટી'ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં માર્ગ અકસ્માતો નિવારવા, ટ્રાફિક વ્યવસ્થાપન અને નાગરિકોની સુરક્ષાને લગતા વિવિધ મુદ્દાઓ પર સઘન સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે બેઠકમાં ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે, સ્કૂલે જતા બાળકોની સલામતી એ વહીવટીતંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. જે કોઈ રિક્ષાચાલકો ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડીને કે જીવના જોખમે રિક્ષા હંકારીને બાળકોને શાળાએ લઈ જતા જણાશે, તો તેઓની સામે જરાય દાક્ષિણ્ય દાખવ્યા વિના કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, લુણાવાડા શહેરની વધતી જતી ટ્રાફિકની સમસ્યાના સુદ્રઢ અને કાયમી નિવારણ માટે ઉપસ્થિત અધિકારીઓને 'એક્શન મોડ'માં આવીને ત્વરિત કામગીરી કરવા માટે કલેક્ટરશ્રીએ સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં ડી.વાય.એસ.પી., સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) અધિકારી, ચીફ ઓફિસર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્કારી નગરી વડોદરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન પરશુરામજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આગામી 19 એપ્રિલ 2026ના રોજ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ચિરંજીવી ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે શહેરમાં એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટા)ના માર્ગદર્શન હેઠળ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ દ્વારા આ ભવ્ય શોભાયાત્રા યોજાશે. આ શોભાયાત્રાનો પ્રારંભ પૂર્વ વિસ્તારમાં આવેલા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી લઈ અમદાવાદી પોળ ખાતે આવેલા શ્રી પંચમુખી મહાદેવ મંદિર સુધી યોજાશે. આ શોભાયાત્રાની એક ખાસ વિશેષતા એ છે કે, આયુર્વેદિક ચાર રસ્તાથી લઈને માંડવી ગેટ સુધીના માર્ગ પર મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, જે વડોદરાની સાંસ્કૃતિક એકતાનો પરિચય કરાવશે. આ ભવ્ય શોભાયાત્રામાં ભગવાન પરશુરામજીની એક વિશાળ અને ભવ્ય મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બનશે. શહેરના હાર્દ સમાન લહેરીપુરા ગેટ પાસે કાશીના વિદ્વાન પંડિતો દ્વારા ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને શોભાયાત્રાનો સમય સાંજે 5 થી રાત્રે 9 કલાક સુધી રાખવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ નગરજનો જોડાઈ શકે. ધારાસભ્ય શૈલેષ મહેતાએ વડોદરા શહેર અને જિલ્લાના તમામ હિંદુઓ અને સનાતન પ્રેમીઓને આ ભવ્ય શોભાયાત્રામાં જોડાવવા અને મહાઆરતીનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. આ વર્ષે પણ બાઇક રેલી સાથે ભવ્ય શોભાયાત્રા યોજાશે. સાથે માંડવી ખાતે ભવ્ય ઇમારતને નુકસાન ન પોહચે તે માટે અહીંયા કોઈ પણ પ્રકારની મ્યુઝિક સિસ્ટમ વગાડવામાં આવશે નહીં.
જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ઝાંઝરડા વિસ્તાર માટે જે મુસદ્દારૂપ નગર રચના યોજના એટલે કે ટીપી સ્કીમ નંબર 5 જાહેર કરવામાં આવી છે, તેણે સ્થાનિક ખેડૂતો અને જમીન માલિકોમાં ભારે રોષ જગાડ્યો છે. ઝાંઝરડા ખાતે યોજાયેલી એક વિશાળ બેઠકમાં જમીન માલિકોએ એકસૂરે આ દરખાસ્તને પાયાવિહોણી અને શોષણકારી ગણાવી તેનો સામૂહિક વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોનું માનવું છે કે આ સ્કીમ વિકાસના નામે માત્ર ખેડૂતોનું આર્થિક શોષણ કરવા માટે લાવવામાં આવી છે. ખેડૂત અગ્રણી વીનુ અમીપરાએ સરકારી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સરકારી અધિકારીઓ ખેડૂતોના ભોળપણ અને કાયદાકીય અજ્ઞાનતાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. આ ટીપી સ્કીમ હેઠળ ખેડૂતોની માલિકીની 40 ટકા જમીન કોઈપણ પ્રકારનું વળતર ચૂકવ્યા વિના 'મફત'માં પડાવી લેવાનો કારસો રચવામાં આવ્યો છે. જે ખેડૂતો પેઢીઓથી પોતાની જમીન પર નભે છે, તેમની પાસેથી આટલી મોટી માત્રામાં જમીન છીનવી લેવી તે અન્યાયની પરાકાષ્ઠા છે. ખેડૂતો માટે ચિંતાનો વિષય માત્ર જમીન ગુમાવવાનો જ નથી, પરંતુ તેના પર લાદવામાં આવતો આર્થિક બોજ પણ છે. યોજનાની જોગવાઈઓ મુજબ, જમીન છીનવી લીધા બાદ પણ ખેડૂતો પર અંદાજે 900 કરોડ રૂપિયાનો જંગી 'ડેવલપમેન્ટ ચાર્જ' એટલે કે ઈન્ક્રીમેન્ટ વેલ્યુ વસૂલવાની તૈયારી કરવામાં આવી છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે એક તરફ તેઓ પોતાની કિંમતી જમીન ગુમાવે અને ઉપરથી સરકારને કરોડો રૂપિયા ચૂકવે તે કોઈ કાળે સ્વીકારી શકાય તેમ નથી. આ સ્થિતિ ખેડૂતો માટે પડતા પર પાટું સમાન સાબિત થઈ રહી છે. યોજનામાં રહેલી વિસંગતતાઓ અંગે વાત કરતા અગ્રણીઓએ ગરીબ આવાસ યોજનાના મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા હતા. ટીપી સ્કીમમાં આર્થિક રીતે પછાત લોકો (EWS) માટે મકાનો બાંધવા માટે 1 લાખ ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યા અનામત રાખવામાં આવી છે. ખેડૂતોએ પ્રશ્ન કર્યો હતો કે માત્ર એક જ ટીપી સ્કીમમાં આટલી મોટી જગ્યામાં કેટલા ગરીબોના મકાન બનશે અને તે બાંધવા માટેના કરોડો રૂપિયા ક્યાંથી આવશે. આ અંગે ગુજરાત સરકારની કોઈ પૂર્વ મંજૂરી લેવામાં આવી છે કે નહીં તેની પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેનાથી આખી યોજના શંકાના દાયરામાં આવી ગઈ છે. વધુમાં ખેડૂત નેતાઓએ કાયદાકીય પાસાઓ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે નિયમો મુજબ જો ગુજરાત સરકાર હુકમ કરે તો જ આવી યોજનાઓ બનાવી શકાય છે. ભૂતકાળમાં પણ આ પ્રકારની યોજનાઓ સરકારે રદ કરી હોવા છતાં, જૂડા દ્વારા ફરીથી આ જ યોજના કેમ લાવવામાં આવી રહી છે તે એક મોટો પ્રશ્ન છે. અધિકારીઓ કાયદાની પ્રક્રિયાનું ખોટું અર્થઘટન કરી રહ્યા છે અને ખેડૂતોની જમીનો માત્ર વેચાણ કરવાના હેતુથી કાપવામાં આવી રહી હોવાનો ગંભીર આક્ષેપ બેઠકમાં કરવામાં આવ્યો હતો. ઝાંઝરડા વિસ્તારના ખેડૂતોએ પોતાની સ્પષ્ટ માંગણી રજૂ કરતા કહ્યું છે કે જો સરકારને જાહેર સુવિધાઓ, રસ્તાઓ કે અન્ય વિકાસકામો માટે જમીનની જરૂર હોય, તો તે જમીનના પૂરેપૂરા બજારભાવ મુજબ પૈસા ખેડૂતોને ચૂકવવા જોઈએ અથવા તેના માટે સરકારે અલગથી ગ્રાન્ટ ફાળવવી જોઈએ. ખેડૂતોની કિંમતી જમીન મફતમાં લેવાની અને ઉપરથી ટેક્સ વસૂલવાની આ નીતિ સામે લોકોમાં ભારે અસંતોષ છે. આગામી દિવસોમાં જો આ ટીપી સ્કીમ પાછી ખેંચવામાં નહીં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. આ વિવાદને કારણે હાલ ઝાંઝરડા રોડના મકાન માલિકો અને જમીનધારકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.
નવસારી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ચોરીના ચાર અલગ-અલગ બનાવો નોંધાયા છે. તસ્કરોએ ઘર અને ઓફિસના તાળા તોડી કુલ ₹૧૧ લાખથી વધુની મત્તાની ચોરી કરી છે. આ ઘટનાઓ નવસારી રૂરલ, ટાઉન અને ચીખલી પોલીસ મથકની હદમાં બની છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થયા છે. પ્રથમ બનાવ નવસારી રૂરલ પોલીસ મથકે નોંધાયો છે. ઉગત ગામના નવું ફળીયામાં રહેતા નિવૃત રઝાકભાઇ ઇબ્રાહીમ કુરેશીના બંધ ઘરના દરવાજાનો નકુચો તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. તેઓએ લોખંડ અને લાકડાના કબાટના લોક તોડી સોના-ચાંદીના દાગીના (કિ.રૂ. ૮.૭૧ લાખ) અને રોકડા ૧ લાખ મળી કુલ ₹૯,૭૧,૦૦૦ની મત્તાની ચોરી કરી હતી. પી.આઈ. વી.જી. ભરવાડ આ મામલે તપાસ ચલાવી રહ્યા છે. બીજો બનાવ નવસારી ટાઉન વિસ્તારમાં શાંતાદેવી પાસે આવેલી સીતા રેસીડેન્સીમાં બન્યો છે. મનિષભાઇ દેવજીભાઇ ચૌધરીના બંધ ફ્લેટના દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ₹૫૧,૭૦૦ની ચોરી કરી હતી. આ ચોરી ધોળે દિવસે થઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્રીજી ઘટના જુનાથાણા વિસ્તારમાં આવેલા પુષ્પાંજલી એપાર્ટમેન્ટમાં 'ન્યુ આઇડીયા એડવટાઇઝીંગ' નામની ઓફિસમાં બની હતી. ફરિયાદી વિશાલ જયેશકુમાર શાહની ઓફિસના શટર અને દરવાજાના તાળા તોડી ચોરોએ પ્રવેશ કર્યો હતો. ઓફિસના ટેબલના ખાનામાંથી ચાંદીના સિક્કા અને રોકડ મળી કુલ ₹૬૪,૮૦૦ની મત્તાની ચોરી થઈ હતી. ચોથો બનાવ ચીખલીની એમ.આર. દેસાઈ કોલેજમાં નોંધાયો છે. F.Y.B.A.ની પરીક્ષા આપવા ગયેલા ચિરાગભાઇ કમલેશભાઇ ગાંવિત નામના વિદ્યાર્થીનો મોબાઈલ ચોરાયો હતો. પરીક્ષા દરમિયાન બેગ રૂમની બહાર મુકતા તેમાંથી ₹૧૭,૯૯૯ની કિંમતનો OPPO કંપનીનો સ્માર્ટફોન કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. આ તમામ બનાવોમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તસ્કરોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જિલ્લામાં વધતી જતી ચોરીની ઘટનાઓને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
જોડિયાના દરિયામાં ડોલ્ફિનનો વીડિયો વાયરલ:દરિયાકિનારે ડોલ્ફિનના દ્રશ્યો પ્રવાસીઓ માટે આકર્ષણ
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના દરિયામાં ડોલ્ફિન માછલીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ડોલ્ફિન દરિયાના પાણીમાં કૂદાકૂદ કરતી અને મસ્તી કરતી જોવા મળે છે, જે કુદરતી સૌંદર્યનો અદભૂત નજારો રજૂ કરે છે. સામાન્ય રીતે ડોલ્ફિન ઊંડા દરિયામાં જોવા મળતી હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જામનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમની અવરજવર વધી છે. વાયરલ થયેલા વીડિયોમાં ડોલ્ફિનનું એક ઝૂંડ દરિયાના મોજાં સાથે કિલ્લોલ કરતું સ્પષ્ટપણે દેખાય છે. સ્થાનિક લોકો અને માછીમારો દ્વારા આ વીડિયો જોડિયાના દરિયાકિનારાનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દરિયાઈ સૃષ્ટિની આ ઝલક જોઈને પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતા જ લોકો તેને જોડિયાના પ્રવાસન અને દરિયાઈ જીવસૃષ્ટિની સમૃદ્ધિ તરીકે જોઈ રહ્યા છે. જોકે, આ વીડિયો ચોક્કસ કયા સમયનો છે તેની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે, પરંતુ જોડિયા પંથકમાં આ નજારો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે સાઠંબા આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં શુક્રવારે અચાનક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. બાયડ હેલિપેડ પર ઉડાન ભરતા પહેલા જ હેલિકોપ્ટરમાં ક્ષતિ જણાતા પાયલોટે સુરક્ષાના કારણોસર ઉડાન ભરવાનો ઇનકાર કર્યો હતો. આ સ્થિતિમાં મુખ્યમંત્રીને તેમનો સાબરકાંઠાનો પ્રવાસ રોડ માર્ગે પૂર્ણ કરવાની ફરજ પડી હતી.સભા સંબોધી હિંમતનગર જતા હતાસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે સ્ટાર પ્રચારકો દ્વારા સભાઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રચાર અભિયાન હેઠળ ભૂપેન્દ્ર પટેલ નવનિર્મિત સાઠંબા તાલુકા મથકે 'વિકાસ સંકલ્પ સભા' સંબોધવા આવ્યા હતા. તેઓ સવારે હેલિકોપ્ટર મારફતે સમયસર બાયડ પહોંચ્યા હતા અને ત્યાંના નિર્ધારિત કાર્યક્રમો પૂર્ણ કર્યા હતા. ટેક્નિકલ ટીમ કાર્યરત બાયડમાં સભા પૂર્ણ કર્યા બાદ જ્યારે તેઓ આગળના કાર્યક્રમ માટે સાબરકાંઠા જવા રવાના થવાના હતા, ત્યારે હેલિપેડ પર હેલિકોપ્ટરમાં ક્ષતિ હોવાનું જણાયું હતું. ટેક્નિકલ ખામીની ગંભીરતા જોતા પાયલોટે હેલિકોપ્ટર ઉડાડવા અસમર્થતા દર્શાવી હતી. છેવટે સમયનો બચાવ કરવા મુખ્યમંત્રીએ બાય રોડ સાબરકાંઠા જવાનો નિર્ણય લીધો હતો. હાલમાં ટેક્નિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને હેલિકોપ્ટરના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢ શહેરની ભાગોળે આવેલા ડુંગરપુર વિસ્તારમાં આજે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં એક 40 વર્ષીય યુવાનની અજાણ્યા શખ્સો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ડુંગરપુર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા રફિકશા કરીમશા રફાઈ (ઉંમર આશરે 40 વર્ષ) નામના યુવાનની હત્યા કરવામાં આવી છે. હુમલાખોરોએ રફિકશા પર લાકડી અને ધોકા જેવા હથિયારો વડે આડેધડ પ્રહાર કર્યા હતા. ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. હત્યાની ગંભીરતાને જોતા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા (SP) સહિત તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક અસરથી ડુંગરપુર પહોંચી હતી. પોલીસે મૃતકની લાશનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ મૃતકના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હત્યા કર્યા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે. હાલમાં આ હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. અંગત અદાવત કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ તો તાલુકા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે. જૂનાગઢના શાંત વિસ્તાર ગણાતા ડુંગરપુરમાં ધોળા દિવસે થયેલી આ હત્યાએ કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
ભરૂચના વડીલોના આશ્રમ ખાતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં ટ્રસ્ટના સ્થાપક હેમા પટેલ, ઉપપ્રમુખ શીલા પટેલ, સેક્રેટરી સીમા ચુડાસમા અને પ્રોજેક્ટ ચેરમેન કુસુમ નિકમ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. કથા દરમિયાન મોટી સંખ્યામાં ટ્રસ્ટના સભ્યો હાજર રહ્યા હતા. તેમણે સત્યનારાયણ ભગવાનની કથાનું શ્રવણ કર્યું અને પૂજન-અર્ચન કર્યું. આ પ્રસંગે વડીલોના આશ્રમના ટ્રસ્ટી ભરત દેસાઈ અને સંચાલક મંડળ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વડીલોના સારા સ્વાસ્થ્ય અને સુખી જીવન માટે પ્રાર્થના કરી હતી. કથાના સમાપન બાદ ઉપસ્થિત મહેમાનો, ટ્રસ્ટના સભ્યો અને વડીલોએ સાથે મળીને સત્યનારાયણ ભગવાનની આરતી કરી હતી. ત્યારબાદ સૌએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
અરવલ્લી જિલ્લાના સાઠંબા ખાતે આયોજિત 'વિકાસ સંકલ્પ સભા'માં મોડાસા APMCના ચેરમેન પંકજ એન. પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી. તેમણે ગંજ બજારની બહાર થતી ખેતી જણસોની ખરીદી પર 'શેષ' ફરજિયાત કરવા માંગ કરી હતી, જેને રાજ્યની APMCના અસ્તિત્વનો સવાલ ગણાવ્યો હતો. પંકજ પટેલે મુખ્યમંત્રીને જણાવ્યું કે, હાલમાં કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ રાજ્ય સરકારોએ અમલ કરવાનો હોય છે, પરંતુ ગુજરાતમાં અમુક છૂટછાટને કારણે ગંજ બજાર (માર્કેટ યાર્ડ)ની બહાર જે વેપારીઓ ખેતી જણસોની ખરીદી કરે છે, તેઓ શેષ (Cess) ભરતા નથી. આના પરિણામે રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ પોતાની હક્કની મોટી આવક ગુમાવી રહી છે. તેમણે ઉમેર્યું કે, ગંજ બહાર વેપાર કરતા વેપારીઓ પર શેષનું નિયંત્રણ ન હોવાથી APMCની આર્થિક સ્થિતિ કફોડી બની છે. જો આ જ પરિસ્થિતિ રહી તો રાજ્યના ગંજ બજારો માત્ર 'મરવાના વાંકે' જીવી રહ્યા હોય તેવી સાવ કફોડી અને દયનીય હાલતમાં આવી જશે. આ સંજોગોમાં ગુજરાત સરકારે ત્વરિત હસ્તક્ષેપ કરવો જોઈએ. પંકજભાઈ પટેલે એક ખાસ પરિપત્ર બહાર પાડીને એવો નિયમ લાગુ કરવાની માંગ કરી કે ગંજની બહાર પણ જો ખેતી જણસોનો વેપાર થાય, તો તેની નિર્ધારિત શેષ જે-તે માર્કેટ યાર્ડમાં જમા કરાવવી ફરજિયાત બને. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યના APMC તંત્રને સ્પર્શતા આ સંવેદનશીલ મુદ્દાને ધ્યાનપૂર્વક સાંભળ્યો હતો. તેમણે સહકારી આગેવાનોની રજૂઆતને પગલે આ બાબતે હકારાત્મક અભિગમ દાખવી યોગ્ય તપાસ કરાવીને ઘટતું કરવા માટે આશ્વાસન આપ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં સહકારી કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢ મહાનગરપાલિકાને અસ્તિત્વમાં આવ્યાને 24 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, હજુ સુધી અહીં 'વિજિલન્સ બ્રાન્ચ' કાર્યરત ન હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલે સત્તાધારી પક્ષ અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનનો અભાવ હોય તેમ વિરોધાભાસી નિવેદનો સામે આવ્યા છે. વિજિલન્સ બ્રાન્ચની ગેરહાજરીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરને વિજિલન્સ બ્રાન્ચની સ્થિતિ અંગે પૂરતી જાણકારી ન હોય તેમ તેમણે જણાવ્યું હતું કે અગાઉ મહાનગરપાલિકામાં વિજિલન્સ બ્રાન્ચ કાર્યરત હતી અને તેમાં અધિકારીઓ પણ હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ જગ્યાઓ ખાલી પડી છે. તેમણે ઉમેર્યું કે વહીવટમાં પારદર્શિતા લાવવા માટે આ બ્રાન્ચ હોવી અત્યંત જરૂરી છે. બીજી તરફ, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જૂનાગઢ મહાનગરપાલિકા જ્યારે નગરપાલિકામાંથી અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધી તેના સેટઅપમાં વિજિલન્સ બ્રાન્ચ માટે કોઈ અલગ વ્યવસ્થા કે વિભાગ ક્યારેય કાર્યરત રહ્યો જ નથી. જ્યારે પણ રાજ્ય તકેદારી આયોગ રિપોર્ટ માંગે ત્યારે તેના માટે માત્ર એક 'નોડલ ઓફિસર'ની નિમણૂક કરવામાં આવે છે. અગાઉ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જ્યારે કડિયાવાડ વિસ્તારમાં સ્થાનિકોની રજૂઆતને પગલે મુલાકાતે પહોંચ્યા હતા, ત્યારે વહીવટી તંત્રની પોલ ખુલી હતી. સ્થાનિકોએ ગટરના કામમાં નિયમો વિરુદ્ધ કામગીરી થઈ હોવાની ફરિયાદ કરી હતી. આ સમયે ચેરમેને ત્યાંના કોર્પોરેટર ચંદ્રિકાબેન રાખસીયાને પૂછતા તેમણે પણ સ્વીકાર્યું હતું કે, હા આ વાત સાચી છે અને કામ ખરેખર નિયમ વિરુદ્ધ થયું છે. આ ઘટના સાબિત કરે છે કે દેખરેખના અભાવે જમીની સ્તરે કામોની ગુણવત્તામાં ગંભીર બાંધછોડ થઈ રહી છે. વિપક્ષી નેતા લલિતભાઈ પરસાણાએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2002 થી મહાનગરપાલિકા બની હોવા છતાં નિયમ મુજબ વિજિલન્સ વિભાગ રાખવામાં આવ્યો નથી. કરોડોની ગ્રાન્ટના સદુપયોગ માટે આ વિભાગ અનિવાર્ય છે. હાલમાં કોઈ કાયમી અધિકારીને બદલે એકાઉન્ટન્ટ કે ઓડિટરને તપાસ સોંપાય છે, જેમના દ્વારા નિષ્પક્ષ તપાસ શક્ય નથી. રસ્તાઓ બન્યાના થોડા જ સમયમાં તોડવા પડે છે તે ભ્રષ્ટાચારનો જીવંત પુરાવો છે. સ્થાનિક સ્તરે વિજિલન્સ ન હોવાથી વિપક્ષે ફરિયાદ કરવા છેક ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ સુધી ધક્કા ખાવા પડે છે, જેમાં સમયનો ખૂબ વ્યય થાય છે. પલ્લવીબેન ઠાકરે કહ્યું કે વિજિલન્સ અધિકારી હોય તો કોર્પોરેટરો સીધી ફરિયાદ કરી શકે અને એન્જિનિયરો પર નજર રાખી શકાય. તેમણે ખાતરી આપી છે કે તેઓ આગામી દિવસોમાં જૂનાગઢ કોર્પોરેશનમાં વિજિલન્સ અધિકારીની પોસ્ટ ફરીથી ક્રિએટ કરવા અને વહેલી તકે નિમણૂક કરવા માટે માંગણી કરશે. હાલની પરિસ્થિતિ અંગે કમિશનર તેજસ પરમારે જણાવ્યું કે, કામોની ગુણવત્તા માટે 'થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન' અને ટેસ્ટિંગ રિપોર્ટ્સનો સહારો લેવામાં આવે છે. કમિશનર પોતે રોડ-રસ્તા અને પાણીની લાઇનના કામોની રૂબરૂ મુલાકાત લે છે અને દર મંગળવારે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજે છે. કોર્પોરેટરો પણ સજાગ રહીને વોર્ડના કામો પર નજર રાખી રહ્યા છે. જોકે, વિપક્ષ અને જનતાની માંગ છે કે પારદર્શિતા માટે કાયમી વિજિલન્સ વિભાગની સ્થાપના જ એકમાત્ર ઉકેલ છે.
ગુજરાતના સંવેદનશીલ દરિયાઈ સીમાની સુરક્ષા મજબૂત કરવાના ભાગરૂપે નવસારી જિલ્લાના 53 કિમી લાંબા દરિયાકાંઠા પર પોલીસ તંત્ર દ્વારા અભેદ કિલ્લેબંધી કરવામાં આવી છે. એટીએસ (ATS) અને કોસ્ટલ સિક્યુરિટીના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શંકાસ્પદ હિલચાલ અને ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે મરીન કમાન્ડો દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. 11 દિવસમાં બીજીવાર ફૂટ પેટ્રોલિંગ કરાયું છે. અગાઉ 6 એપ્રિલે પણ ઓપરેશન કરાયું હતું. વ્યૂહાત્મક આયોજન અને સુરક્ષા વ્યવસ્થારાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓ, ડ્રગ્સની દાણચોરી અને ડ્રોન જેવી શંકાસ્પદ ગતિવિધિઓ પર લગામ કસવા માટે એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના ADGP અમિતકુમાર વિશ્વકર્મા, મરીન ટાસ્ક ફોર્સના DIG એ.એમ. મુનિયા અને SP એસ.જે. પરમાર દ્વારા વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. આ પ્લાનિંગ હેઠળ નવસારીના સમગ્ર દરિયાઈ વિસ્તારને 5થી 10 કિમીના સેક્ટરમાં વહેંચી દેવામાં આવ્યો છે, જ્યાં મરીન કમાન્ડોની વિવિધ ટીમો તૈનાત છે. ભાટગામથી કનાઈખાડી સુધી તપાસનો ધમધમાટ17 એપ્રિલ 2026ના રોજ ફિશ લેન્ડિંગ સેન્ટર તરીકે જાણીતા ભાટગામથી કનાઈખાડી સુધીના વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. નવસારી સેક્ટરના DySP આર.એચ. પટેલ અને PI યુ.જે. પટેલની આગેવાનીમાં મરીન કમાન્ડોએ કાર્યવાહી કરી હતી: નિરીક્ષણ: દરિયાકાંઠાની અવાવરુ અને શંકાસ્પદ જગ્યાઓનું બારીકાઈથી ચેકિંગ કરવામાં આવ્યું. પૂછપરછ: દરિયામાં અવરજવર કરતી શંકાસ્પદ બોટો અને વ્યક્તિઓની સઘન પૂછપરછ કરાઈ. વાહન ચેકિંગ: કાંઠા વિસ્તારમાં પાર્ક કરેલા શંકાસ્પદ વાહનોની પણ તપાસ હાથ ધરવામાં આવી. સતત મોનિટરિંગ અને પેટ્રોલિંગસુરક્ષા એજન્સીઓ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં સતત નજર રાખી રહી છે. અગાઉ 6 એપ્રિલ 2026ના રોજ પણ ઓજલમાછીવાડ, કૃષ્ણપુર, રાણાભાઠા, ચોરમલાભાઠા અને મોવાસા જેવા દરિયાકાંઠાના ગામોમાં મરીન કમાન્ડોની 'હીટ ટીમો' દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. દરિયાઈ માર્ગે થતી નશાના કારોબારની હેરાફેરી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે નવસારી પોલીસ અને મરીન ટાસ્ક ફોર્સ દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોરબી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે ભાજપના ઉમેદવારો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મોરબી જિલ્લા અને ગુજરાતના વિકાસને અવરોધનારા લોકોને આ ચૂંટણીમાં હરાવીને ઘરભેગા કરવાના છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પ્રસારના ભાગરૂપે હર્ષ સંઘવી મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેમણે મોરબી મહાનગરપાલિકાના ભાજપના તમામ ઉમેદવારો તેમજ પ્રબુદ્ધ નાગરિકો અને ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો હતો. સંઘવીએ મોરબીએ કોંગ્રેસના શાસનકાળના ભૂતકાળના દિવસો અને ભાજપના સુશાસનના દિવસો બંને જોયા હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, જો ભૂતકાળના દિવસો પાછા ન આવે તેવું ઈચ્છતા હોય તો વિકાસ રોકવાનો પ્રયાસ કરનારાઓને પરાજિત કરવા અનિવાર્ય છે. નાયબ મુખ્યમંત્રીએ વિપક્ષી પક્ષો, ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, હાલમાં ચૂંટણી માટે જુદી જુદી જગ્યાએ કાર્યાલય ખુલતા હોય છે, પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યાલય પર કોઈ માણસો દેખાતા નથી. સમાજ જીવનમાં જૂઠાણું ટૂંકા સમય માટે ચાલે છે, લાંબા સમય સુધી નહીં. તેમણે ચેતવણી આપી હતી કે, જો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાંથી કોઈ આગેવાન ચૂંટાશે તો મોરબીનો વિકાસ રૂંધવાનું કામ કરશે. સંઘવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ ચૂંટણીમાં મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું છે. તેમણે ભાજપના ઉમેદવારોને સંબોધતા કહ્યું હતું કે, ભાજપના કાર્યકર્તાઓ વર્ષો સુધી પોતાના વિસ્તાર અને વોર્ડમાં કામ કરતા હોય છે, જેના કારણે જ ઉમેદવારો વિજયી બને છે. તેમણે દરેક ઉમેદવારને પોતાના મત વિસ્તારમાંથી કોઈપણ નાગરિકનો અડધી રાતે ફોન આવે તો હસતા મોઢે તેનું કામ કરવાની તૈયારી રાખવા ટકોર કરી હતી.
અખાત્રીજ (અક્ષય તૃતીયા) લગ્ન માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત મનાય છે. આ દિવસે અનેક લગ્નો અને સમૂહલગ્નો યોજાય છે. ભૂતકાળના અનુભવો દર્શાવે છે કે આ દિવસે બાળલગ્નો થવાની સંભાવના વધુ રહે છે. આ સામાજિક દૂષણને રોકવા સુરેન્દ્રનગર જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક કચેરી દ્વારા તાલુકાવાર ખાસ ટીમો બનાવવામાં આવી છે, જે શંકાસ્પદ લગ્નો પર ચાંપતી નજર રાખશે. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 મુજબ, છોકરીના 18 વર્ષ પહેલાં અને છોકરાના 21 વર્ષ પહેલાં લગ્ન કરવા એ કાયદેસર રીતે સજાપાત્ર ગુનો છે. વહીવટી તંત્રએ સમૂહલગ્નોના આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, રસોઈયા, મંડપ ડેકોરેશનવાળા, ફોટોગ્રાફર તથા વર-કન્યા પક્ષના પરિવારોને આવા કોઈ પણ બાળલગ્નમાં સહભાગી ન બનવા ખાસ અનુરોધ કર્યો છે. બાળલગ્નના કારણે દીકરા-દીકરીઓના શારીરિક અને માનસિક આરોગ્ય પર અત્યંત વિપરીત અસરો થાય છે. કાયદાની જોગવાઈ અનુસાર, જો કોઈ પણ વ્યક્તિ બાળલગ્ન કરાવવામાં સંડોવાયેલું જણાશે, તો તેને રૂ. 1 લાખ સુધીનો દંડ અને 2 વર્ષ સુધીની કઠોર કેદની સજા થઈ શકે છે. સમાજમાંથી આ દૂષણને નાબૂદ કરવા માટે દરેક નાગરિકે પોતાની સામાજિક જવાબદારી નિભાવવી અનિવાર્ય છે. જો આપના વિસ્તારમાં કોઈ બાળલગ્ન થતા જોવા મળે તો તેને અટકાવવા માટે તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. બાળલગ્ન અટકાવવા માટે ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098, પોલીસ કંટ્રોલ રૂમ 100, મહિલા અભયમ હેલ્પલાઇન 181, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી, સુરેન્દ્રનગરનો સંપર્ક કરી શકાય છે.

30 C