પાટણના ટીબી ત્રણ રસ્તા પાસે કારમાં આગ:મોટી દુર્ઘટના ટળી, પેટ્રોલ પમ્પના સ્ટાફે આગ પર કાબૂ મેળવ્યો
પાટણ શહેરના ટીબી ત્રણ રસ્તા પાસે આવેલા પેટ્રોલ પમ્પ નજીક એક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. પેટ્રોલ પમ્પના સ્ટાફની સતર્કતા અને તાત્કાલિક અગ્નિશામક સાધનોના ઉપયોગથી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો, જેના કારણે મોટી જાનહાનિ અને દુર્ઘટના ટળી હતી. આ ઘટના પાટણના વ્યસ્ત ટીબી ત્રણ રસ્તા વિસ્તારમાં બની હતી. કારમાંથી ધુમાડા નીકળ્યા બાદ અચાનક આગની જ્વાળાઓ દેખાતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. કાર ચાલકે સમયસૂચકતા વાપરી તુરંત જ ચાલતી કારમાંથી બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. આગ લાગતાની સાથે જ પેટ્રોલ પમ્પ પર હાજર કર્મચારીઓએ તાત્કાલિક પમ્પમાં ઉપલબ્ધ અગ્નિશામક (ફાયર એક્સટિંગ્યુશર) સાધનો વડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પાણી અને કેમિકલનો ઉપયોગ કરીને આગને વધુ પ્રસરતી અટકાવવામાં આવી હતી. પેટ્રોલ પમ્પ જેવા અત્યંત સંવેદનશીલ વિસ્તારની નજીક આગની આ ઘટના બની હોવાથી લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. જો સમયસર આગ પર કાબૂ ન મેળવાયો હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ હતી. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ એક સંભવિત કારણ હોઈ શકે છે. આ અકસ્માતમાં કારને મોટું નુકસાન થયું છે, પરંતુ સમયસરની કામગીરીને પગલે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
તમને જાણીને નવાઈ લાગશે કે જર્મનીની 14 જેટલી યુનિવર્સિટીમાં સંસ્કૃતનો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જેમાં હાઈડલબર્ગ યુનિવર્સિટીમાં તો 200 વર્ષથી વધુ સમયથી સંસ્કૃત ભણાવવામાં આવે છે. કારણ કે જર્મનના વિદ્વાન મેક્સ મુલરે આપણા ઋગવેદનો જર્મન અને અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. ઈન્ટ્રેસ્ટિંગલી તેઓ ક્યારેય ભારત આવ્યા ન હતા છતાં પણ તેમણે સંસ્કૃતના પ્રચાર પ્રસાર માટે આખું જીવન ખપાવી દીધું હતું. આ વાત આપણે એટલા માટે યાદ કરી રહ્યા છીએ કારણ કે હિટલરના શાસનમાં જર્મનીનું જેવું સેનાનું માળખું હતું તેવું જ અને યુરોપનું સૌથી મોટું સૈન્ય માળખું ફરી તૈયાર કરવા જઈ રહ્યું છે. તેની પાછળ અમેરિકા અને રશિયા કેવી રીતે જવાબદાર છે? ભારતને શું ફાયદો નુકસાન? દુનિયાએ ચીન રશિયા અમેરિકા બાદ હવે જર્મનીની હિલચાલ પર પણ કેમ નજર રાખવી પડશે? કેવી રીતે યુનાઈટેડ નેશન્સ, નાટો અને યુરોપિયન યુનિયનમાં વધી રહ્યું છે જર્મનીનું કદ? આજે આપણે વિગતે બધી જ વિગતો જાણીએ.... નમસ્કાર... આજકાલ જર્મનીની રાજધાની બર્લિનના રસ્તાઓ પર માત્ર મર્સિડીઝ અને બીએમડબ્લ્યુ જેવી લક્ઝરી કારોનો અવાજ જ નથી સંભળાતો, પણ સેનાના બુટ અને ટેન્કોના એન્જિનનો ગડગડાટ પણ સંભળાઈ રહ્યો છે. જે અવાજ ખાલી યુરોપ પુરતો સીમિત નથી, તેની અસર રાજકોટના રૈયારોડ અને અમદાવાદના એલિસ બ્રિજ સુધી પણ પડી શકે છે. કારણ કે બીજા વિશ્વયુદ્ધમાં કારમી હાર બાદ અત્યાર સુધી એટલે કે લગભગ 70 વર્ષ સુધી જે જર્મનીએ હથિયારોના ટ્રીગર પર આંગળી નહોતી મૂકી તે ફરી યુવાનોના હાથોમાં હથિયારો પકડાવી રહ્યા છે. તેનાથી વિશ્વના અર્થતંત્રને કેવી અસર પડે છે તે સમજવી અતિ જરૂરી છે. સ્માર્ટ જર્મન મૂવઃ અમેરિકા-રશિયા-ચીન સાથે વેપાર બીજા વિશ્વ યુદ્ધ પછી જર્મનીએ બહુ સ્માર્ટ ગેમ રમી. ભયાનક આર્થિક નુકસાન પછી તેમણે ડિફેન્સની જગ્યાએ ઈકોનોમી પર ભાર દીધો. દુનિયાના વેપારી દેશોમાં જર્મનીએ પોતાનું એવું સ્થાન બનાવ્યું કે તે અમેરિકા, રશિયા અને ચીન એમ ત્રણેય સાથે વેપાર કરી શકે અને આર્થિક હિત પણ જોડી શકે જેથી પોતાના દેશ પર યુદ્ધની નોબત જ ન આવે. હથિયાર ઉઠાવવાની મજબૂરી રશિયા અને ટ્રમ્પ પણ, 24 ફેબ્રુઆરી 2022ના દિવસે પુતિને પોતાની સરહદ અમેરિકાથી બચાવવા જર્મનીના જ પાડોશી દેશ યુક્રેન પર ભયાનક હુમલો કરી દીધો અને જર્મનીને પોતાની બનિયા બુદ્ધિ છોડી સૈન્ય નીતિ અપનાવવી પડી. ઉપરથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ચૂંટાઈ આવ્યા અને યુરોપ પર તેણે ટેરિફનો કાળો કેર વરસાવ્યો. UN, WTO, WEF બધાના એવા ફાંટા પાડ્યા કે અંતે જર્મનીને થઈ ગયું કે હવે નાટો નહીં પણ તેમને જ પોતાની અને યુરોપની રક્ષા કરવી પડશે. પોલિટબેરોમીટરનો એક રિપોર્ટ કહે છે... જર્મની ફરી હિટલર માર્ગ પર સુનો દ્રૌપદી! શસ્ત્ર ઉઠાલો અબ ગોબિંદ ના આવેંગેની જેમ જર્મનીએ ઈઝરાયલ પાસેથી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ અને અમેરિકા પાસેથી ફાયટર જેટ ખરીદવું પડ્યું છે. ટૂંકમાં ફરી જર્મની મજબૂરીમાં હિટલર માર્ગ પર ચાલી રહ્યું છે. જે જર્મનીએ પોતાને દુનિયાનો દુકાનદારની છબી બનાવી હતી તે હવે આક્રમક મોડમાં આવી રહ્યું છે. ફિક્સ પ્લાન ફેલ, ટ્રમ્પે કર્યા બ્લેકમેઈલ રશિયા પાસેથી સસ્તો ગેસ લેવો અને ચીન-અમેરિકા સહિત દુનિયાને મોંઘી કારો વેચવી... આ તેમનો ફિક્સ પ્લાન હતો. પણ પુતિનની ગેસ પાઈપલાઈન કપાઈ અને ટ્રમ્પે NATO બજેટ માટે પ્રોટેક્શન મનીની ઉઘરાણી કરવાનું શરૂ કર્યું. જર્મની અત્યારે એવા વળાંક પર છે જ્યાં તેની પાસે વેપાર બચાવવા અને સેલ્ફ ડિફેન્સ માટે હથિયાર ઉઠાવ્યા વગર કોઈ છૂટકો નથી. હવે જાણીએ જેની વાત કરી રહ્યા છીએ તે જર્મની વિશે. UN-EU અને નાટોમાં વધતો જર્મન દબદબો આપણે જાણીએ છીએ કે જર્મની માત્ર યુરોપનું જ આર્થિક એન્જિન નથી પણ દુનિયામાં ચાલતી તમામ કારોનું એન્જિન પણ જર્મનીનું જ છે. યુરોપનું 28 દેશોનું સંગઠન એટલે કે યુરોપિયન યુનિયનમાં અને UNમાં પણ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવાના કારણે જર્મનીના મોઢે બોલાયેલો શબ્દ આખરી ગણવામાં આવે છે. આખા UNને ચલાવવા અમેરિકા પછી સૌથી વધુ ફાળો જર્મની જ આપે છે. જર્મની અત્યાર સુધી નાટો એટલે કે મિત્ર દેશોના ડિફેન્સ સંગઠનને લોજિસ્ટિક્સ અને ફાઈનાન્શિયલ જરૂરિયતો જ પૂરું પાડતું હતું પણ હવે જર્મની નાટોનો પાયો પણ બનવા જઈ રહ્યું છે. કારણ કે જર્મનીએ નાટોને 2035 સુધીમાં એક્ટિવ અને રિઝર્વ્ડ એમ કુલ 4.6 લાખ સૈનિકો પણ આપશે. અમેરિકાએ એવું કહ્યું કે નાટોની સુરક્ષા જોઈએ તો રૂપિયા આપો ત્યારે જર્મની સમજી ગયું કે યુરોપની સુરક્ષાની કમાન્ડ તેમને પોતાના હાથ પર લેવી પડશે. વિશ્વનો ચોથો મજબૂત ખૂણો આપણે અમેરિકા, ચીન અને રશિયા જ નહીં પણ બર્લિન પર પણ નજર રાખવી પડશે કારણ કે રશિયા, ચીન અને અમેરિકા વિશ્વના ત્રણ મજબૂત ખુણા છે તો જર્મની તેની મધ્યમાં આવેલો ચોથો મજબૂત ખૂણો છે અને વધુ મજબૂત બનવા મથી પણ રહ્યો છે. ટૂંકમાં જર્મનીથી હવે માત્ર લગ્ઝરી કારના ભાવ જ નહીં નક્કી થાય, યુરોપની સુરક્ષા પણ થશે. હવે આપણે રશિયા-અમેરિકા વિશે અને જર્મનીમાં વધતી લશ્કરી તાકાત વિશે વધુ ડિટેઈલમાં વાત કરીએ. રશિયા અચાનક દોસ્તથી દુશ્મન કેમ બન્યું? એક જર્મન નીતિ છે જેનું નામ છે ઓસ્ટપોલિટિક, જેમાં જર્મનીએ રશિયા સાથે ઊર્જા અને વેપારના ગાઢ સંબંધો બાંધ્યા હતા. પણ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી જર્મની સહિત યુરોપે રશિયા સામે મોઢું ફેરવ્યું છે. ગયા વર્ષના જર્મન ડિફેન્સ મંત્રાલય મુજબ રશિયા હવે મુશ્કેલ પાડોશી નહીં પણ પ્રત્યક્ષ ખતરો પણ છે. કારણ કે તેમના મુજબ રશિયા સૈન્ય ક્ષમતા વધારી રહ્યું છે. પોટ્સડેમમાં બુન્ડેસવેહર સેન્ટર ઓફ મિલિટરી હિસ્ટ્રી એન્ડ સોશિયલ સાયન્સના વરિષ્ઠ સંશોધક, ટીમો ગ્રાફના જણાવ્યા મુજબ જર્મની લશ્કરોમાં રશિયન જાસૂસી? જેના કારણે જર્મનીને હવે બર્લિનની દીવાલો અને લિથુઆનિયાના જંગલો રશિયાથી બચાવવા છે. જર્મનીમાં આવતા સમાચારો મુજબ ત્યાં રશિયાની જાસૂસી વધી રહી છે. જર્મન લશ્કરી મથકો અને હથિયાર ઉત્પાદન એકમો પર રશિયન જાસૂસીનો પણ જર્મનીએ પર્દાફાશ કર્યો છે. તોડફોડ અને સાયબર ક્રાઈમના કિસ્સાઓમાં પણ વધારો થયો છે. આ બધી જ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જર્મની હવે ટોટલ ડિફેન્સ મોડમાં ફરી આવી ગયું છે. ટ્રમ્પે એક જ વર્ષમાં યુરોપને કાળા પાણીએ રડાવ્યું રશિયાની સૈન્ય બાબતોથી હવે અમેરિકા તરફ વળીએ. છેલ્લા એક વર્ષમાં ટ્રમ્પની નીતિઓના કારણે અમેરિકાએ યુરોપને આર્થિક રીતે મોટો ફટકો માર્યો છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે 2025માં મ્યુનિક સુરક્ષા પરિષદમાં ચોખ્ખા શબ્દોમાં યુરોપને સંભળાવી દીધું હતું કે, વિશ્વાસઘાતથી અમેરિકા પર જર્મન્સનો વિશ્વાસ ઘટ્યો જર્મની અમેરિકામાં વસ્તુઓ મોકલીને નફો કમાવે છે. ટ્રમ્પના આકરા ટેરિફના કારણે જર્મની બરોબર સમજી ગયું છે કે સુરક્ષા અને અર્થતંત્ર બંને માટે અમેરિકા પર ડિપેન્ડેન્સી ઘટાડવી પડશે. તેના એક વર્ષ પહેલા જર્મની અને યુકેએ ટ્રિનિટી હાઉસ એગ્રીમેન્ટ પર સાઈન કરી. એટલે બીજા વિશ્વ યુદ્ધ પછી પહેલીવાર જર્મની વિમાનો બ્રિટિશ ધરતી પર ઓપરેટ થયા. જો બંને દેશો પર મિસાઈલ કે ડ્રોન હુમલાઓ થાય તો આ કરાર હેઠળ સાથ અને મદદ મળશે. યુકે-ફ્રાન્સ-જર્મની એટલે અમર અકબર એન્થની માત્ર યુકે જ નહીં ફ્રાન્સ સાથે પણ જર્મનીને વેપાર વધારવો છે પણ ફાઈટર જેટ અને ટેન્ક પ્રોજેક્ટમાં મોડું થવા મામલે અત્યારે થોડો વિવાદ ચાલી રહ્યો છે. એક નોલેજ પોઈન્ટ અહીં લેવા જેવો છે કે આ બંને એટલે કે ફ્રાન્સ અને યુકે પાસે યુનાઈટેડ નેશન્સમાં વીટો પાવર છે. જર્મનીને અત્યારે જ હથિયાર જોઈએ છે અને ફ્રાન્સનું ધ્યાન માત્ર જર્મની કરતાં યુરોપિયન પ્રોજેક્ટ્સ પર વધારે છે. મોડું પોસાય એમ નથી એટલે જર્મનીએ અમેરિકાનો સહારો લીધો જેના કારણે પેરીસ નારાજ થયું હતું. જો કે વિવાદ ભલે હોય રશિયા કે અમેરિકા નામના ખતરા સામે તો ત્રણેય જય-વીરુ જેવી જોડી જ છે. હવે આવીએ મુખ્ય મુદ્દા પર... 2025ના સર્વેક્ષણો દર્શાવતા હતા કે 74 ટકા જર્મન્સ માને છે કે આવનાર થોડા વર્ષોમાં યુરોપમાં મોટું યુદ્ધ થઈ શકે છે. માટે જર્મનીએ નાટોને વિશ્વાસ આપ્યો છે કે તે નાટોનો સેકન્ડ ઈન કમાન્ડ બનશે. જર્મનીમાં યુવાનોની વસ્તી ઘટી રહી છે. માટે જર્મનીએ સ્વીડિશ મોડલની જેમ તમામ 18 વર્ષના યુવાનોને લશ્કરી સેવામાં જોડવા માટેના નિર્ણયો લઈ રહી છે અને સેનાની નોકરીમાં ખૂબ જ સારો પગાર આપી રહી છે. ગયા વર્ષે 20 હજારથી વધુ સૈનિકોની ભરતી કરી હતી. આટલી મોટી ભરતી જર્મનીમાં છેલ્લા 15 વર્ષમાં ક્યારેય નથી થઈ. માત્ર સેનાનું માળખું જ નહીં, હથિયારોમાં પણ જર્મની ઈન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે. હથિયારો પાછળ ખર્ચ અમેરિકા પાસેથી સ્ટીલ્થ ફાઈટર જેટ ખરીદ્યું ઈઝરાયલ પાસેથી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી મોડર્ન ટેન્કનું પ્રોડક્શન ઝડપી બનાવ્યું હથિયારો માટે બંધારણ ફેરવી તોળ્યું જે કરવા માટે 2025માં જર્મન સંસદે ડેબ્ટ બ્રેક રિફોર્મ નામનો બંધારણીય સુધારો પસાર કર્યો. જેનાથી જર્મન સરકારને ડિફેન્સ બજેટ માટે દેવું કરવાની તાકાત મળી ગઈ છે. ડિફેન્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 500 અબજ યુરોનું એક સ્પેશિયલ ફંડ પણ તૈયાર કરાયું છે. નવાઈ લાગશે પણ આ જ જર્મની અત્યાર સુધી સંતુલિત બજેટને ગાયની જેમ પૂજતા હતા. હવે જર્મનીનું ડિફેન્સ બજેટ જોઈએ જર્મનીની તાકાતમાં ભારતનો ફાયદો ક્યાં? જર્મનીના આ નિર્ણયનો ફાયદો આપણને પણ થઈ રહ્યો છે. ચીન સિવાય જર્મનીને એશિયામાં એક મજબૂત લોકશાહી પાર્ટનરની શોધ હતી જે ભારતે પૂરી પાડી છે. આપણે સૌથી વધુ વસ્તુ વેચીએ છીએ તેવા દેશોમાં જર્મનીનો નંબર આઠમો છે અને જેની પાસેથી સૌથી વધુ વસ્તુઓ ખરીદીએ છીએ તેમાં જર્મનીનો નંબર અગિયારમો છે. ભારત-જર્મનીના સંબંધો કેવા? તમને યાદ હોય તો હમણા ઉત્તરાયણમાં નરેન્દ્ર મોદી સાથે જેણે પતંગ ચગાવી હતી તે ચાંસેલર જર્મનીના જ હતા. ભારત જર્મનીના સંબંધોને 25 વર્ષ પૂરા થયા છે. બંને દેશ વચ્ચે ગયા વર્ષે સવા ચાર લાખ કરોડથી વધારે વેપાર થયો હતો. જો ભારત અને યુરોપીયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઈ જાય તો 2030 સુધીમાં જર્મની ભારતમાં 50 હજાર કરોડનું ઈનવેસ્ટમેન્ટ કરી શકે છે. આપણે જર્મની પાસેથી કાર સહિત ટેક્નોલોજીની વસ્તુઓ ખરીદીએ છીએ; જ્યારે જર્મની આપણી પાસેથી દારુગોળો અને વિસ્ફોટકો વગેરે ખરીદે છે. જર્મનીમાં મજૂરોની અછત, રોજગારીની તક ભારત અને જર્મની વચ્ચે હમણા જ 75 હજાર કરોડની પ્રોજેક્ટ 75 આઈ સબમરીન ડિલ થઈ છે. દારુગોળો બનાવવા માટે તેમને મજૂરોની અછત છે. ભારત પાસે સ્કિલ્ડ લેબર અને પ્રોડક્શન પણ ક્ષમતા છે. માટે જર્મન કંપનીએ રિલાયન્સ સાથે કરાર કર્યો છે. રત્નાગીરીમાં ધીરુભાઈ અંબાણી ડિફેન્સ સિટી બનશે જેમાં વર્ષે 2 લાખ જેટલા આર્ટિલરી શેલ બનાવાશે, જે બંને દેશોને કામ લાગશે. રાજકોટના બોલબેરિંગ માર્કેટ પણ ઓટોમોબાઈલથી આગળ વધીને ડિફેન્સ ગ્રેડ પર જશે તો સૌરાષ્ટ્રને પણ મોટો ફાયદો થઈ શકે એમ છે. બુલેટપ્રુફ જેકેટ માટે સુરતનું માર્કેટ પણ ખુલ્લું જ છે. પણ બધું સારું જ નથી. જર્મની ભારત અને રશિયાની દોસ્તી પણ શંકાની નજરે જુએ છે. જર્મનીના કડક નિકાસ નિયમો ભારત માટે માથાનો દુખાવો છે. અર્જુન એન્ક માટે જર્મન એન્જિન માટે આપણે 4 વર્ષ વાટ જોવી પડી હતી. જો ખરેખર ભાગીદારી વધારવી હોય તો જર્મનીને પોતાની બ્યૂરોક્રેસી ઝડપી બનાવવી પડશે. અને છેલ્લે... જર્મનીની ધરતી ભારતીય આઝાદીની લડાઈની મૂક સાક્ષી છે. કારણ કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝે પણ આઝાદ હિંદ ફૌજનો પાયો અહીંથી નાખ્યો હતો અને મેડમ ભીખાઈજી કામાએ પણ ભારતનો પહેલો તીરંગો આ જ જર્મન ધરતીથી લહેરાવ્યો હતો. જોઈએ કે ઈતિહાસના વૈશ્વિક સમીકરણો ભવિષ્યમાં નવી મહાસત્તાઓને કેવી ફળશે. સોમવારથી શુક્રવાર રાત્રે આઠ વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)
ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલી સ્વરાજ આશ્રમશાળામાં 15 વર્ષીય સગીરા પર થયેલા દુષ્કર્મ કેસમાં તપાસ તેજ બની છે. આ કેસના મુખ્ય આરોપી પ્રફુલ નાયક અને સહ-આરોપી રસોઈણ સોનલબેન દીપકભાઈ પવારના આહવા સેશન્સ કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી પ્રફુલ નાયક આશ્રમશાળાના મહિલા પ્રમુખના પતિ છે, જ્યારે સોનલબેન ત્યાં રસોઈ કામ કરતા હતા. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ગુનાના મૂળ સુધી પહોંચવા અને અન્ય સંભવિત સંડોવણી અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે રિમાન્ડની માંગણી કરી હતી. ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના સીધા માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક જનેશ્વર નલવાયાની દેખરેખમાં આ કેસની તપાસ ચાલી રહી છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા. આશરે એક અઠવાડિયા પહેલા, રસોઈણ સોનલબેને સગીરાને કામના બહાને બોલાવી નશીલી વસ્તુ પીવડાવી હતી. સગીરા બેભાન થતાં મુખ્ય આરોપી પ્રફુલ નાયક તેને પોતાના રૂમમાં લઈ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર ડાંગ પંથકમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. શિક્ષણ અને સંસ્કારના કેન્દ્ર ગણાતી આશ્રમશાળામાં દીકરીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે, જેના કારણે લોકોમાં ચિંતા વ્યાપી છે. આદિવાસી સમાજના આગેવાનો, વાલીઓ અને સામાજિક સંગઠનો દ્વારા પીડિત દીકરીને વહેલી તકે ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન વધુ મહત્વપૂર્ણ ખુલાસા થવાની સંભાવના છે.
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે તોફાની બની હતી. છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા 'કચરા કૌભાંડ' ને લઈને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન મેયર દક્ષેશ માવાણીને વિપક્ષી સભ્યોએ ઘેરી લીધા હતા અને ભારે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. મેયર દક્ષેશ માવાણીને વિપક્ષે ધક્કે ચઢાવ્યા હતા કચરા કૌભાંડનો આક્ષેપ અને 'નંબર 1' એવોર્ડ પર સવાલસુરત શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં વારંવાર પ્રથમ ક્રમે આવે છે, પરંતુ વિપક્ષ દ્વારા આ આંકડાઓને 'છેતરપિંડી' ગણાવવામાં આવ્યા છે. વિપક્ષનો આરોપ છે કે, પાલિકાએ કચરાનું 100 ટકા વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ થતું હોવાના ખોટા ડેટા રજૂ કરીને કેન્દ્ર સરકાર સાથે છેતરપિંડી કરી છે અને એવોર્ડ મેળવ્યો છે. વાસ્તવમાં ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર કચરાના ડુંગરો યથાવત છે, જે પાલિકાના દાવાઓની પોલ ખોલે છે. સામાન્ય સભા પહેલાં ઉગ્ર સૂત્રોચ્ચાર અને પ્લે-કાર્ડ પ્રદર્શનઆજની સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો હાથમાં પ્લે-કાર્ડ લઈને પરિસરમાં એકઠા થયા હતા. હજી કેટલાં કરવા છે કાંડ...? અને કચરામાં પણ કૌભાંડ જેવા સૂત્રોચ્ચાર કરી આખું સંકુલ ગજવી મૂક્યું હતું. વિપક્ષી નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં કોર્પોરેટરોએ શાસક પક્ષ પર ભ્રષ્ટાચારના સીધા પ્રહારો કર્યા હતા. મેયર દક્ષેશ માવાણીને ધક્કે ચઢાવાયાજ્યારે મેયર દક્ષેશ માવાણી સભાખંડ તરફ જઈ રહ્યા હતા, ત્યારે વિપક્ષી સભ્યોએ તેમને ઘેરી લીધા હતા. આક્ષેપ છે કે યોગ્ય જવાબ ન મળતા મામલો બિચક્યો હતો અને સભ્યો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. મેયરને સુરક્ષાકર્મીઓના કવચ વચ્ચે માંડ-માંડ બહાર કાઢવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. વિપક્ષી નેતા પાયલ સાકરિયા સસ્પેન્ડસભામાં થયેલા હોબાળા અને શિસ્તભંગના કારણોસર મેયર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. વિપક્ષના નેતા પાયલ સાકરિયાને સામાન્ય સભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ નિર્ણય બાદ વિપક્ષે એવો આરોપ લગાવ્યો હતો કે ભાજપ શાસકો પોતાની નિષ્ફળતા છુપાવવા માટે વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તંત્રની કામગીરી પર ઉઠ્યા પ્રશ્નોખજોદ સાઈટની મુલાકાત લીધા બાદ વિપક્ષના સભ્યોએ દાવો કર્યો છે કે લાખો મેટ્રિક ટન કચરો પ્રોસેસ કર્યા વગર જ પડ્યો રહ્યો છે. પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ મામલે હવે રાજ્ય કક્ષાએ પણ તપાસની માંગ ઉઠી શકે છે.
સુરેન્દ્રનગરમાં ગતરોજ રતનપર બાયપાસ રોડ પર ધોળા દિવસે છરીના ઘા ઝીંકી 17 વર્ષના સગીરને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જૂની અદાવતમાં મિત્રોએ જ હૃદય પાસે છરીનો ઘા મારતા સગીર ત્યાં જ ઢળી પડ્યો હતો. આ મામલે જોરાવરનગર પોલીસે ગણતરીના કલાકોમાં કાયદાના સંઘર્ષમાં આવલા બે સગીર આરોપીઓને ઝડપી પાડ્યા છે. છરીનો ઘા લાગતા સગીર લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યોઆ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, 17 વર્ષના સગીરની તેના જ બે સગીર મિત્રોએ રતનપર બાયપાસ રોડ પર મેક્સન સર્કલ પાસે હત્યા કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અગાઉ થયેલા ઝઘડાના મનદુઃખને કારણે આ હત્યા કરવામાં આવી હતી. મિત્રોએ હૃદય પાસે છરીનો ઘા માર્યો હતો. જેથી સગીર લોહીલુહાણ હાલતમાં ત્યા જ ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટ્યા હતા. બીજી તરફ આ મામલે જોરાવરનગર પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ગુનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર અંગે તપાસ હાથ ધરાઈપોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને સગીરને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા હતા. હાલ પોલીસે બંનેને ડિટેઈન કર્યાં છે તેમજ હત્યા પાછળનું સાચું કારણ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર અંગે વધુ તપાસ હાથ ધરી છે. DYSPએ શું કહ્યું?આ અંગે સુરેન્દ્રનગર DYSP વેદિકા બિહાનીએ જણાવ્યું કે, જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારના રતનપર એરિયામાં મેક્સન સર્કલ પાસે જ્યાં નવું સ્વામિનારાયણ મંદિર બની રહ્યું છે, ત્યાં એક હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં હત્યાનો ભોગ બનનારની ઉંમર લગભગ 17 વર્ષની છે. આ બનાવમાં સગીરના બે મિત્રોએ જ એની હત્યા કરી હતી. આ બંને હત્યારા મિત્રો કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર છે. આજે એ બંને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ડિટેઇન કરવામાં આવ્યા છે. એમને જુબેનાઈલ જસ્ટિસ બોર્ડ સામે રજૂ કરવામાં આવ્યા છે. આ હત્યાનું મુખ્ય કારણ મૃતક ધનરાજ અને આ બન્ને સગીરો વચ્ચે અગાઉ કોઈ ઝઘડો થયો હતો, જેનું મનદુઃખ રાખીને આ હત્યા કરવામાં આવી હતી. હત્યાની અન્ય ઘટનાઓ પણ વાંચો અમદાવાદમાં મહિલાના પૂર્વ પતિએ હાલના પતિને તેના ઘર બહાર જ પતાવી દીધો અમદાવાદમાં એક હત્યાની ઘટના સામે આવી છે, સરખેજ ફતેહવાડી કેનાલ RCC રોડ પર આવેલી હમીદાનગર સોસાયટીમાં રહેતા 32 વર્ષીય આમિર મુકીમ નામની વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. ચાકુના ઘા મારી યુવકને પતાવી દીધો છે. બાળકને મારવાનો પૂર્વ પતિને કોઈએ મેસેજ કર્યો ને બબાલ થઈ હતી. અફસાના બાનુના પૂર્વ પતિ દ્વારા હાલના પતિની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) દાહોદના પેથાપુરમાં નર્સની હત્યા, 60 કિમી દૂર શિક્ષકનો આપઘાત દાહોદ જિલ્લામાં શનિવારે એક સાથે બે સનસનાટીભરી ઘટનાઓએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો હતો. વરોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)માં ફરજ બજાવતી સ્ટાફ નર્સ સોનલબેન પણદાની તીક્ષ્ણ હથિયારથી કરપીણ હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવી હતી, જ્યારે તે જ ગામના શિક્ષક મનોજ ઉર્ફે ભોલા વાલ્મીકીની લાશ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતા. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) જામનગરમાં સાળાએ મિત્ર સાથે મળી છરીના ઘા ઝીંકી બનેવીને પતાવી દીધો 23 જાન્યુઆરીએ જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક વંડાફળી વિસ્તારમાં પ્રેમલગ્ન મામલે એક યુવાનની ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી. નીલય કુંડલિયા નામના જૈન યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. આ ઘટના વંડાફળીમાં આવેલા આદિનાથ એપાર્ટમેન્ટ નજીક બની હતી. મૃતકના સાળાએ મિત્રો સાથે મળી આ હત્યાને અંજામ આપ્યો હતો. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) અમદાવાદ ક્રાઇમ બ્રાંચ કચેરીથી 100 મી. દૂર યુવકની હત્યાં અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચ કચેરીથી 100 મીટરના અંતરે આકાશ ઓડ નામના યુવકની છરીના ઘા મારી હત્યા કરાઈ હતી. ગત(21 જાન્યુઆરી) મોડીરાતે બે યુવકો વચ્ચે કોઈ બાબતે થયેલી બોલાચાલી બાદ સમાધાન થયું હતું. જો કે, તેની અદાવત રાખીને બીજા જ દિવસે યુવકની હત્યા કરાઈ હતી. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
વાપીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:24.5 તોલા સોના-ચાંદીના દાગીના સાથે સફાઈકર્મી સહિત બેની ધરપકડ
વાપી GIDC વિસ્તારમાં આવેલી RCL કોલોનીમાં થયેલી મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે 24.5 તોલા સોના-ચાંદીના દાગીના સાથે સફાઈકર્મી સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. ચોરી કરાયેલો મુદ્દામાલ આરોપીઓએ જમીનમાં દાટી દીધો હતો, જે પોલીસે રિકવર કર્યો છે. ઘટનાની વિગત મુજબ, RCL કોલોનીમાં રહેતા એક વેપારી તેમના માતાના નિધન બાદ વતન મહારાષ્ટ્ર ગયા હતા. દૂધ અને કરિયાણાનો વ્યવસાય કરતા આ વેપારીએ પોતાની દુકાન પર 10 દિવસ માટે બહાર ગયા હોવાની નોટિસ પણ લગાવી હતી. આ તકનો લાભ ઉઠાવીને આરોપીઓએ ઘરમાં ઉપરના ભાગેથી પ્રવેશ કર્યો હતો. ચોરોએ ઘરમાં ઘૂસીને ડ્રોઅરમાં રાખેલી તિજોરીની ચાવી શોધી કાઢી હતી. ત્યારબાદ તિજોરી ખોલીને અંદાજે 24.5 તોલા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને સર્વેલન્સના આધારે આ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. પકડાયેલ મુખ્ય આરોપી અજય સોલંકી તે જ કોલોનીમાં સફાઈ કામ કરતો હતો અને તેને વેપારીની હિલચાલ વિશે પૂરી જાણકારી હતી. પોલીસે અજય સોલંકી અને તેના સાગરીત કલ્પેશ મિસ્ત્રીની ધરપકડ કરી છે. આરોપીઓએ ચોરેલો મુદ્દામાલ અલગ-અલગ જગ્યાએ જમીનમાં દાટી દીધો હતો. રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં આ વાત સામે આવતા પોલીસે તમામ દાગીના કબજે કર્યા છે. હાલમાં બંને આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. 1 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજવામાં આવ્યો હતો જેમાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે 2 જેટલા મુલાકાતઓ ઓછા આવ્યા હતા. જેથી, ફ્લાવર શો ફ્લોપ શો બની ગયો હતો. ફ્લાવર શોમાં નાગરિકોની મુલાકાતની સંખ્યા ખૂબ ઓછી રહી હતી. ચાલુ વર્ષે 10.81 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી છે. જેનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનને 11.61 કરોડની આવક થઈ છે. આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો પાછળ રૂ. 17 કરોડનો ખર્ચ કર્યો હતો પરંતુ 6 કરોડ રૂપિયાનું કોર્પોરેશનને નુકસાન ગયું છે. સીઝનલ પ્લાન્ટને વિવિધ બગીચાઓ, ટ્રાફિક જંકશન અને ડિવાઇડરની વચ્ચે લગાવવામાં આવશે. ટિકિટથી અંદાજિત 9 કરોડ જેટલી આવક થઈસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 29 દિવસમાં જ 10.81 લાખ નાગરીકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે. જેમાં કુલ આવક 11.61 કરોડ રૂપિયા થઈ છે ટિકિટથી અંદાજિત 9 કરોડ જેટલી આવક થઈ છે. સ્ટોલની 1.5 કરોડ જ્યારે સ્પોન્સરશિપની 1.40 કરોડ રૂપિયા આવક થઈ છે. ફ્લાવર શોના સીઝનલ પ્લાન્ટ ને ડિવાઇડરમાં તેમજ અલગ-અલગ બગીચાઓમાં પ્લાન્ટ કરી વૃક્ષારોપણ કરાશે. આ વર્ષની આવક ગત વર્ષ કરતા બે કરોડ ઘટીગત વર્ષે ફ્લાવર શોમાં 13 લાખથી વધારે લોકો આવ્યા હતા અને 13 કરોડ રૂપિયાની આવક થઈ હતી. ગયા વર્ષ કરતાં આ સંખ્યા બે લાખ ઓછી છે જ્યારે આવક પણ ગત વર્ષની આવક કરતા બે કરોડ ઘટી છે એટલે કે ચાલુ વર્ષે 11 કરોડની આવક થઇ છે. ફ્લાવર શોમાં ઉપયોગમાં લેવામાં આવેલા ફુલોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ બગીચા, સર્કલ કે પછી સેન્ટ્રલવર્જમાં લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગયા વર્ષની જેમ આ વર્ષે ફુલ છોડ વેચવામાં નહી આવે તેવી સ્પષ્ટતા તંત્ર દ્વારા કરવામાં આવી છે. ફ્લાવર શોમાં ટીકીટ ખરીદી નાગરીકો આવ્યા તેની સાથે મોટી સંખ્યામાં બાળકોએ પણ મુલાકાત લીધી હતી. જોકે સૂત્રો મુજબ ફ્લાવર શોમાં યોગ્ય પ્રકારે સારું ડિસ્પ્લે અને આયોજન ન હોવાના કારણે નાગરિકોને ફ્લાવર શો વધુ સારો લાગ્યો નહીં.
ડાંગના દહેર ગામે દીપડાએ બાળકીનો જીવ લીધો:બે દિવસથી સારવાર હેઠળ રહેલી 5 વર્ષીય બાળકીનું મોત
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના દહેર ગામે દીપડાના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી પાંચ વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટના બે દિવસ અગાઉ બની હતી, ત્યારબાદ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, દહેર ગામની પાંચ વર્ષીય બાળકી પોતાના ઘર નજીક હતી. તે સમયે અચાનક ઝાડીઓમાંથી દીપડો બહાર આવ્યો અને બાળકી પર હુમલો કરીને તેને પકડી લીધી હતી. બાળકીની ચીસો સાંભળીને પરિવારજનો અને આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે બૂમાબૂમ કરીને દીપડાને ભગાડવાનો પ્રયાસ કર્યો. ગ્રામજનોના પ્રયાસો બાદ દીપડાની પકડમાંથી બાળકીને છોડાવવામાં આવી હતી. હુમલામાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેના શરીરના વિવિધ ભાગોમાં ઊંડા ઘા પડ્યા હતા. તેને તાત્કાલિક સ્થાનિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બે દિવસ સુધી સારવાર હેઠળ રહ્યા બાદ તેનું મોત થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. આ ઘટના બાદ દહેર ગામમાં દીપડાના વધતા હુમલાઓ સામે ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે. છેલ્લા કેટલાક સમયથી સુબીર અને આસપાસના જંગલ વિસ્તારોમાં દીપડાની અવરજવર વધવાને કારણે માનવ-વન્યજીવ સંઘર્ષની ઘટનાઓ વધી રહી છે. સ્થાનિક લોકોએ વન વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમની ફરિયાદ છે કે વારંવારની રજૂઆતો છતાં પૂરતા પગલાં લેવામાં આવતા નથી. ગ્રામજનોએ દીપડાને પકડીને સલામત સ્થળે ખસેડવાની, રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવાની અને સંવેદનશીલ વિસ્તારોમાં પાંજરા ગોઠવવાની માંગ કરી છે. વન વિભાગના અધિકારીઓએ આ ઘટના અંગે તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું છે. તેમણે વિસ્તારના લોકોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાની ખાતરી આપી છે.
કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી ઈંગ્લિશ સ્કૂલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભ 2025-26ની બૅચના વિદ્યાર્થીઓ માટે હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વિવિધ પર્ફોર્મન્સ રજૂ કર્યા હતા અને લાગણીસભર વક્તવ્યો આપ્યા હતા. શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા બે શબ્દો કહ્યા હતા.વિદ્યાર્થીઓએ શાળામાં વિતાવેલા સમયના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમને મેમેન્ટોની સાથે પોકેટ ગીતા પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી, જેણે આ સમારંભને યાદગાર બનાવ્યો હતો.સમારંભના અંતે, વિદ્યાર્થીઓને તેમના તેજસ્વી અને સફળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
રાહી ફાઉન્ડેશન દ્વારા સમૂહ લગ્નમાં સહાય:સત્યમ યુવક મંડળના 25 યુગલોને સાડી-શેરવાની ભેટ આપી
રાહી ફાઉન્ડેશન દ્વારા સત્યમ યુવક મંડળ, જૂનાગઢ આયોજિત સમૂહ લગ્નમાં સહાય કરવામાં આવી છે. ફાઉન્ડેશને 25 ગરીબ અને નિરાધાર યુવાન-યુવતીઓને લગ્નોત્સુક જોડા માટે ભારે સાડી અને શેરવાની ભેટ આપી હતી. આ સતત ચોથું વર્ષ છે જ્યારે રાહી ફાઉન્ડેશન આ કાર્યમાં મદદ કરી રહ્યું છે. સત્યમ યુવક મંડળ ઘણા વર્ષોથી સફળતાપૂર્વક સમૂહ લગ્નોનું આયોજન કરી રહ્યું છે. રાહી ફાઉન્ડેશન આ સામાજિક કાર્યમાં સહભાગી થવા બદલ ગર્વ અનુભવે છે.આ કાર્યક્રમમાં યોગદાન આપનાર દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, અશોક દલાલ, મહેન્દ્ર પટેલ, સ્નેહા શાહ, મૌલિક ગાંધી, હેમાંગ સુખડિયા, જયેશ શાહ અને રાહી ટીમના તમામ કાર્યકર્તાઓએ આ કાર્યમાં સહયોગ આપ્યો હતો.
તલોદની BMD કાપડ ફેક્ટરીમાં ભીષણ આગ:માલ-સામાન બળીને ખાખ, પાંચ શહેરોની ફાયર ટીમ ઘટનાસ્થળે
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રણાસણથી ગાંભોઈ માર્ગ પર હાથરોલ નજીક આવેલી BMD કાપડ બનાવતી ફેક્ટરીમાં આજે મોડી સાંજે ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા દૂર દૂરથી આકાશમાં દેખાઈ રહ્યા હતા. ઘટનાને પગલે હિંમતનગર ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, રણાસણ-ગાંભોઈ રોડ પર આવેલી આ BMD ફેક્ટરીમાં વિસ્તરણનું કામ ચાલી રહ્યું હતું, જેના ભાગરૂપે ફેબ્રિકેશનનું કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે આગ લાગી હોવાનું મનાય છે. આ ફેક્ટરીમાં દોરા, કાપડ અને રેગઝીન જેવા ઉત્પાદનો બનાવવામાં આવે છે. આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં આખી ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ. આગના કારણે કાપડ, કાચો માલ અને અન્ય સામાન બળીને ખાખ થતાં મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ કંપની ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે કારની સીટના કાપડનું પણ ઉત્પાદન કરતી હતી. ભીષણ આગને કાબૂમાં લેવા માટે હિંમતનગર ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયા બાદ હિંમતનગર અને મોડાસાથી ફાયર ફાઈટર ટીમો ઘટનાસ્થળે રવાના થઈ હતી. આ ઉપરાંત, ખેડબ્રહ્મા, ઈડર અને પ્રાંતિજથી પણ ફાયર ટીમો મદદ માટે ઘટનાસ્થળે પહોંચી હતી.
સુરતની શાળા 105 અને 153માં મોકડ્રિલ:વિદ્યાર્થીઓ અને સ્ટાફને આપત્તિ વ્યવસ્થાપનની માહિતી આપવામાં આવી
સુરતની શાળા ક્રમાંક 105 અને 153 માં સુરક્ષા જાગૃતિ માટે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકો અને સ્ટાફને આગ, ભૂકંપ જેવી આપત્તિ સમયે સુરક્ષિત રહેવા અંગે માર્ગદર્શન આપવાનો હતો. મોકડ્રિલ દરમિયાન, વિદ્યાર્થીઓને કટોકટીની સ્થિતિમાં શાંતિ જાળવીને સુરક્ષિત રીતે બહાર નીકળવાની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી. એલાર્મ વાગતા જ, તમામ વિદ્યાર્થીઓ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શિસ્તબદ્ધ રીતે ખુલ્લા મેદાનમાં એકત્ર થયા. શાળાના સ્ટાફ સભ્યોએ બાળકોને બચાવના ઉપાયો અને સાવચેતીના નિયમો વિશે માહિતગાર કર્યા હતા.આ મોક ડ્રિલથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધ્યો અને આપત્તિ સમયે યોગ્ય પ્રતિભાવ આપવાની સમજ વિકસી. શાળા દ્વારા ભવિષ્યમાં પણ આવા જાગૃતિ કાર્યક્રમો સતત યોજવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
ભાવનગર શહેરના દેવુબાગ વિસ્તારમાં આવેલ દેવનાથ મહાદેવ મંદિરને ચોરે નિશાન બનાવ્યું હતું, અજાણ્યા ઈસમે મંદિરના દરવાજાનો આગળીયો તોડી મૂર્તિઓ પરના હારની ચોરી કરી હતી, તેમજ આસપાસના 6 જેટલા રહેણાંકી મકાનોમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, બનાવ અંગે નિલમબાગ પોલિસ મથક ગુન્હો નોંધાયો હતો, પોલિસે ગણતરીના દિવસમાં મંદિરમાં ચોરી કરનાર ઇસમને ઝડપી કોર્ટમાં રજૂ કરી કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. મંદિરમાં એક શખ્સે ચોરી કરીભાવનગરના દેવુબાગ સોસાયટીના પ્રમુખ જશપાલસિંહ ખોડુભા ગોહીલે નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગત 26 જાન્યુઆરીના રોજ વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં એક શખ્સ ચોરી કરતો નજરે પડ્યો હતો, મંદિરના પુજારી જ્યારે પૂજા માટે પહોંચ્યા ત્યારે તેમને મંદિરના મુખ્ય દરવાજાનો આગળીયો તૂટેલો જોવા મળ્યો હતો. તસ્કરોએ મંદિરની દાનપેટી તોડવાનો પણ પ્રયાસ કર્યો હતોજ્યારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મંદિરની અંદર બિરાજમાન હનુમાનજી અને ગણપતિ દાદાની મૂર્તિ પર પહેરાવેલા અંદાજે રૂ.10 હજારની કિંમતના 2 મેટલના હાર કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. તસ્કરોએ મંદિરની દાનપેટી તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં તેઓ સફળ થયા નહોતાં. 6 જેટલા મકાનોમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતોત્યારે ચોરીની જાણ થતા સોસાયટીના અગ્રણીઓએ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં અજાણ્યો શખ્સ મૂર્તિઓ પરથી હાર ચોરતો કેમેરામાં કેદ થયો હતો. અને મંદિરમાં ચોરી કર્યા બાદ તસ્કરોએ સોસાયટીમાં 6 જેટલા મકાનોમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જે અંગે 28 જાન્યુઆરીના નીલમબાગ પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ચોરી કરનાર ઝડપાયો અને કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યાઆ ઘટનાના પગલે ગણતરીના દિવસમાં નિલમબાગ પોલીસે મંદિરમાં ચોરી કરનાર અને અન્ય મકાનોમાં ચોરીનો પ્રયાસ કરનાર ઈસમ અલતાફ અબ્બુભાઈ બેલીમ જે શહેરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારનો રહેવાસીને ઝડપી પાડ્યો હતો. જોકે ઝડપાયેલા શખસ પાસેથી ચોરી અંગે મુદામાલ મળી આવેલ નથી, જેની વધુ તપાસ માટે પોલિસે કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ માંગણી કરી હતી. જેમાં કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
રાહી ફાઉન્ડેશન દ્વારા કુબેરનગર સ્થિત સમાજ સુરક્ષા ખાતા સંચાલિત મંદબુદ્ધિ બહેનોના ગૃહને સાધન સહાય આપવામાં આવી છે. આ સહાય અંતર્ગત સંસ્થાને વિવિધ ઉપયોગી વસ્તુઓ ભેટ અપાઈ હતી. આ ભેટમાં વ્હીલચેર, ઇલેક્ટ્રોનિક વજન કાંટો, ઊંચાઈ માપવાનું સાધન અને મંદબુદ્ધિ બહેનો માટે 1008 સેનેટરી પેડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જયેશ પરીખ લિખિત પ્રેરણાત્મક પુસ્તક સુખનો સૂર્યોદય પણ સંસ્થાને ભેટ આપવામાં આવ્યું હતું. આ સાધન સહયોગ દર્શનાબેન ધીરેનભાઈ પટેલ અને સ્નેહાબેન હેતલકુમાર શાહ પરિવાર તરફથી મળ્યો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ અને મહેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.સંસ્થા 'હોમ ફોર મેન્ટલી રિટાર્ડેડ વુમન' (Home For Mentally Retarded women) તરફથી કૃપાબેન શાહ અને રિંકુબેન શ્રોફે કાર્યક્રમનું સફળતાપૂર્વક સંકલન કર્યું હતું.
વીર નર્મદ યુનિવર્સિટીમાં 52મો રમતોત્સવ:બીજા દિવસે લાંબી કૂદ, 5000 મીટર દોડના પરિણામ જાહેર
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે 28 જાન્યુઆરી, 2026 થી 31 જાન્યુઆરી, 2026 દરમિયાન 52મો ખેલકૂદ રમતોત્સવ યોજાઈ રહ્યો છે. આ રમતોત્સવના બીજા દિવસે, એટલે કે 29 જાન્યુઆરી, 2026 ના રોજ, સવારના સત્રમાં યોજાયેલી લાંબી કૂદ (મહિલા), 5000 મીટર દોડ (પુરુષ અને મહિલા) અને ગોળા ફેંક (મહિલા) સ્પર્ધાઓના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા રમતવીરોને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલા રમતવીરોની યાદી નીચે મુજબ છે: **સ્પર્ધા: લાંબી કૂદ (મહિલા)** 1. કશિશ એ ચૌધરી (આર પી ચૌહાણ કોલેજ, વ્યારા) – 4.51 મીટર, પ્રથમ ક્રમ 2. માહલા ગંગેશ્વરી એમ (શ્રી રાજચંદ્ર કોલેજ, ધરમપુર) – 4.31 મીટર, બીજો ક્રમ 3. વિના કે સૂર્યવંશી (ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સોનગઢ) – 4.30 મીટર, ત્રીજો ક્રમ **સ્પર્ધા: 5000 મીટર દોડ (મહિલા)** 1. મિશ્રા નિશા જયપ્રકાશ (એમ ટી બી આર્ટસ કોલેજ, સુરત) – 22.37.21, પ્રથમ ક્રમ 2. ચૌધરી ઉપાસના કુમારી ભદ્ર (શ્રીમતી આર.પી.સી આર્ટસ એન્ડ શ્રીમતી જે.કે.એસ એન્ડ શ્રી કે ડી એસ કોમર્સ કોલેજ, વ્યારા) – 22.48.35, બીજો ક્રમ 3. પટેલ જાનવી અરુણકુમાર (એમ ટી બી આર્ટસ કોલેજ, સુરત) – 23.02.95, ત્રીજો ક્રમ **સ્પર્ધા: 5000 મીટર દોડ (પુરુષ)** 1. ગાવિત સાગરભાઇ રમેશભાઈ (શ્રી વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ધરમપુર) – 16.21.61, પ્રથમ ક્રમ 2. દીવા રવિશભાઈ નિલેશભાઈ (ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સોનગઢ) – 17.03.14, બીજો ક્રમ 3. વસાવા સુદામભાઈ ભરતભાઈ (શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપળા) – 17.14.32, ત્રીજો ક્રમ **સ્પર્ધા: ગોળા ફેંક (મહિલા)** 1. સિંઘ કોયલ સંજય (એસ ડી જૈન ઇન્ટરનેશનલ કોલેજ, વેસુ, સુરત) – 8.31 મીટર, પ્રથમ ક્રમ 2. માલકારી દામીની બેન નરીમન (ગવર્મેન્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ભીલાડ) – 7.59 મીટર, બીજો ક્રમ 3. સુવા દિવ્ય માલદે (શ્રીમતી આરપીસી આર્ટસ એન્ડ શ્રીમતી જે કે એસ એન્ડ શ્રી કેડીએસ કોમર્સ કોલેજ, વ્યારા) – 7.51 મીટર, ત્રીજો ક્રમ
કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા દત્તક લેવાયેલી નગર પ્રાથમિક શાળા નંબર 105, 149, 153, 154 અને સુમન શાળા નંબર 4માં વર્મીકોમ્પોસ્ટ બેડનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ કોમ્પોસ્ટ ખાતર પ્રોજેક્ટને સક્રિય કરવાના હેતુથી કરાયું હતું.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને જૈવિક કચરામાંથી ખાતર બનાવવાની વૈજ્ઞાનિક પ્રક્રિયાની પ્રાયોગિક સમજ વિકસાવવાનો છે. ઉલ્લેખનીય છે કે વર્મીકોમ્પોસ્ટ બેડના વિતરણ પહેલાં, કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા બાળકો અને શિક્ષકોને કોમ્પોસ્ટ ખાતર બનાવવાની પ્રક્રિયા અંગે તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનો હેતુ પ્રોજેક્ટને યોગ્ય રીતે સમજાવી સફળતાપૂર્વક અમલમાં મૂકવાનો હતો.વર્મીકોમ્પોસ્ટ બેડ મળવાથી વિદ્યાર્થીઓ પોતે ખાતર બનાવવાની પ્રક્રિયામાં સીધા જોડાઈ શકશે. આનાથી તેઓ પ્રોજેક્ટને વ્યવહારુ રીતે અમલમાં મૂકી શકશે. ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓને કોમ્પોસ્ટ ખાતરનું મહત્વ, તેની ઉપયોગિતા અને પર્યાવરણ માટેના લાભો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું. શિક્ષકોએ પણ આ પ્રોજેક્ટને શાળાની દૈનિક પ્રવૃત્તિઓ સાથે જોડીને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ભવિષ્યમાં પણ પર્યાવરણલક્ષી અને શૈક્ષણિક વિકાસ માટે આવા વિવિધ કાર્યક્રમો સતત હાથ ધરશે.
પાટણ શિશુમંદિરમાં 95 બાળકો માટે શિબિર:રેલવે સ્ટેશનની મુલાકાત કરાવી, જીવનવ્યવહાર શીખવાડ્યો
પાટણના સરસ્વતી શિશુમંદિર ખાતે 27 જાન્યુઆરી, 2026 મંગળવારના રોજ એક દિવસીય શિશુ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાભારતી ગુજરાતપ્રદેશ સંલગ્ન અને ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત આ શિબિરમાં શિશુવાટિકા વિભાગ(ઉદય કક્ષ)ના 95 બાળકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સવારે 8:00 વાગ્યાથી સાંજના 4:00 વાગ્યા સુધી ચાલ્યો હતો. શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોનો સર્વાંગી વિકાસ કરવાનો અને તેમને બાળપણથી જ સારા વિદ્યાર્થીઓ તેમજ જવાબદાર નાગરિકો તરીકે તૈયાર કરવાનો હતો. આ હેતુસર શિબિરમાં વિદ્યાર્થીઓની જીવનવ્યવહારની પ્રવૃત્તિઓ, માનસિક અને શારીરિક ક્ષમતાઓની કેળવણી માટે વિવિધ પ્રયોગો અને પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. આ શિબિરને યાદગાર બનાવવા માટે બાળકોને રેલવે સ્ટેશનની મુલાકાત પણ કરાવવામાં આવી હતી. આ મુલાકાતનો હેતુ બાળકોને બાળપણથી જ જાહેર સંપત્તિઓ વિશે માહિતી આપવાનો અને ભવિષ્યમાં તેની જાળવણી માટે જાગૃત કરવાનો હતો. બાળકોએ પ્રત્યક્ષ રેલગાડી જોઈને ખૂબ આનંદ અનુભવ્યો હતો. ત્યાંના ડિવિઝનલ સેફ્ટી ઓફિસર (D.S.O.) પણ બાળકોની જિજ્ઞાસા અને સમજ જોઈને પ્રભાવિત થયા હતા અને તેમને રેલવે સુરક્ષા અંગે માહિતી આપી હતી. શિબિર દરમિયાન ભોજનની વ્યવસ્થા ઉદય-ક કક્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ચૌધરી પ્રજવલના દાદા ખેતાભાઈ પરમાભાઈ ચૌધરી પરિવાર દ્વારા કરવામાં આવી હતી. ભોજન બાદ બાળકોને વિશ્રાંતિ આપવામાં આવી હતી અને શરબત પીવડાવવામાં આવ્યું હતું. ત્યારબાદ શારીરિક ક્ષમતા વધારવા માટે બાળકોને જમ્પિંગ સહિતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. આ શિબિરને સફળ બનાવવા માટે વિદ્યાલય ટ્રસ્ટના ઉપપ્રમુખ દિનેશભાઈ પટેલ, વ્યવસ્થાપક રીમાબેન ઓઝા, વૈદ્ય નેહાબેન ઠક્કર, અલ્કેશભાઈ પારેખ, સંકલનકર્તા નીતિનભાઈ પટેલ, ચારેય એકમના પ્રધાનાચાર્યો ડૉ. રમેશભાઈ ચૌધરી, અસ્મિતાબેન પટેલ, રૂપલબેન પ્રજાપતિ, કિન્નરીબેન પ્રજાપતિ તેમજ શિશુવાટિકા વિભાગના તમામ આચાર્યએ સક્રિય યોગદાન આપ્યું હતું. શિબિરના અંતે બાળકોને શરબત અને વિદ્યાલયના વાલીઓ તરફથી ભેટ પણ આપવામાં આવી હતી. આ સમગ્ર શિબિરના સંયોજિકા શીતલબેન પ્રજાપતિ હતા.
ડાયમંડ સિટી સુરતમાં આજે બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનનું આગમન થતા જ શહેરના માહોલમાં ગરમાવો આવી ગયો હતો. ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લિગ (ISPL)ના પ્રમોશન અને મેચ માટે સલમાન ખાન સુરત આવતા તેમના ચાકહોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સલમાનની એક ઝલક મેળવવા એરપોર્ટથી લઈ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સુરત એરપોર્ટ પર ફેન્સનું ઘોડાપૂરસલમાન ખાન સુરત એરપોર્ટ પર આવવાના હોવાના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ફેન્સ ત્યાં પહોંચી ગયા હતા. સલમાન એરપોર્ટથી બહાર આવતા જ 'સલમાન... સલમાન...', 'ભાઈજાન... ભાઈજાન...'ના નારાથી પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભીડ એટલી પ્રચંડ હતી કે, સુરક્ષાકર્મીઓએ સલમાનને સુરક્ષિત રીતે ગાડી સુધી પહોંચાડવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ દરમિયાન ફેન્સમાં ધક્કામુક્કી થતા થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પેઇન્ટિંગ લઈ પરિવાર સાથે પહોંચ્યો ફેન્સઆ દરમિયાન સલમાન ખાન પ્રત્યેની દીવાનગીના અનેક દૃશ્યો જોવા મળ્યા હતા. પરંતુ આ બધામાં એક યુવક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ ફેન્સ પોતાના આખા પરિવાર સાથે સલમાનને મળવા પહોંચ્યો હતો. તે પોતાના હાથે બનાવેલું સલમાન ખાનનું એક સુંદર પેઇન્ટિંગ લઈને આવ્યો હતો. હું સલમાન સરનો ખૂબ મોટો ફેન છું અને મેં ખાસ આ પેઇન્ટિંગ તેમના માટે બનાવ્યું છે. આજે મારા આખા પરિવાર સાથે તેમને જોવા માટે અહીં આવ્યો છું. સલમાનની એન્ટ્રીથી સ્ટેડિયમ હાઉસફૂલ થવાની શક્યતાસલમાન ખાન ISPL (ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ) સાથે જોડાયેલા હોવાથી સુરતમાં આ લીગને લઇને ઉત્સાહ બમણો થઈ ગયો છે. સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આયોજિત મેચોમાં સલમાનની હાજરીથી સ્ટેડિયમ હાઉસફૂલ રહેવાની શક્યતા છે. ખાનગી બાઉન્સર્સ અને સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્તસલમાન ખાનની સુરક્ષા માટે ખાનગી બાઉન્સર્સ અને સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે તેની સુરક્ષાને ધ્યાને લઈને બુલેટપ્રૂફ કારમાં સુરત એરપોર્ટ પર સલમાનના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. ટેનિસ બોલ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે સલમાન ખાન સુરતની મુલાકાતે છે.
શિક્ષાપત્રી મંથન:કૂતરો પણ રોટલો આપનારને વફાદાર, બાળકોએ માતા-પિતાને ભૂલવા નહિ
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ શિક્ષાપત્રીની ૨૦૦મી જયંતી પ્રસંગે માતા-પિતા પ્રત્યે સંતાનોની વફાદારી પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, કૂતરો પણ રોટલો આપનારને વફાદાર રહે છે, ત્યારે સંતાનોએ માતા-પિતાને ક્યારેય ભૂલવા ન જોઈએ. સાધુ પ્રેમવત્સલદાસજીએ કહ્યું કે, ઘણીવાર સંતાનો મોટા થઈને માતા-પિતાને ભૂલી જાય છે, કારણ કે તેમની જરૂરિયાત પૂરી થઈ ગઈ હોય છે. આજના સમયમાં ઘણા પુત્રો માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે, જે ચિંતાજનક બાબત છે. તેમણે માતા-પિતાના ઉપકારો યાદ કરવા પર ભાર મૂક્યો. તેમના ઉપકારો યાદ કરવાથી તેમની સેવા કરવામાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને સંતાનો તેમના પ્રત્યે કૃતજ્ઞતા અનુભવે છે. આ સંદર્ભમાં, સાધુ પ્રેમવત્સલદાસજીએ એક માર્મિક પ્રસંગ વર્ણવ્યો. અમદાવાદમાં એક સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારમાં માતા-પિતા અને પુત્ર રહેતા હતા. પિતાની ઈચ્છા હતી કે પુત્ર ઉચ્ચ શિક્ષણ મેળવે, પરંતુ ધોરણ ૧૨ પછીનો ખર્ચ તેમના માટે મુશ્કેલ હતો. પુત્રના આગળના અભ્યાસનો ખર્ચ સાંભળીને પિતા દુઃખી થયા. બીજા દિવસે તેમણે પુત્રને કહ્યું કે તેઓ બે દિવસ માટે બહાર જઈ રહ્યા છે અને એક મિત્ર તેમને મદદ કરશે. પિતા પાછા ફર્યા અને પુત્રના ભણતરની બધી વ્યવસ્થા ગોઠવી દીધી. એક દિવસ પુત્ર અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે તેને ટપાલી દ્વારા એક કવર મળ્યું. કવર ખોલતા અંદરથી પિતાના મિત્રની ચિઠ્ઠી નીકળી. તેમાં લખ્યું હતું કે, 'તમે મને કિડની આપીને મારા પર મોટો ઉપકાર કર્યો છે. મેં તમારા પુત્રને ભણાવવા માટે પૈસા આપ્યા છે, અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે પૈસા લઈ શકો છો.' આ ચિઠ્ઠી વાંચીને પુત્ર અને માતાની આંખમાંથી આંસુ સરી પડ્યા. સાધુ પ્રેમવત્સલદાસજીએ કહ્યું કે, આ રીતે પિતા પુત્રને ઉભો કરવા માટે ખર્ચ કરતા હોય અને પછી જો પુત્રો મોટા થઈને પિતાને ટેકો ન આપે, તો પિતાને કેવું દુઃખ થાય છે તે સમજવું જોઈએ.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના ગોવર્ધન ચોકથી માધવપાર્ક ગેટ સુધીના વિસ્તારમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. FSW વાન સાથે નીકળેલી ટીમ દ્વારા કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં લાયસન્સ વગર વેપાર કરતા 12 એકમોને તાકીદે લાયસન્સ મેળવી લેવા સૂચના આપવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન સ્થળ પર જ ખાદ્ય ચીજોના 20 નમૂનાઓની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ક્રિષ્ના ડેરી ફાર્મ, તુલસી પ્રોવિઝન સ્ટોર, શ્રી ગોકુલ પાર્લર અને મહાકાળી પાણીપુરી સહિતના 12 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ બાપુનગર સ્થિત બી-નીવા સ્નેક્સમાંથી ‘યૂઝ્ડ પામોલિન ઓઈલ’ અને ‘કઠોળ સ્ટીક ફરસાણ’ના નમૂના લઈને તેને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગની આ કડક કાર્યવાહીથી અખાદ્ય ચીજોનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજકોટ મનપા દ્વારા ઉનાળાની સિઝન માટે રસના ચીચોડા અને ગોલાના ગાળાઓ ભાડે અપાશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ટી.પી. પ્લોટમાં ઉનાળાની સિઝન માટે રસના ચીચોડા અને ગોલાના વ્યવસાય માટે ગાળા ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટે આગામી 04/02/2026ના રોજ સાંજે 4:00 કલાકે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે જાહેર હરરાજી યોજાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 10x10 ચોરસ ફૂટના ગાળા માટે રૂ. 250 પ્રતિદિનનું અપસેટ ભાડું નક્કી કરવામાં આવ્યું છે. આ વ્યવસાયનો સમયગાળો 06 ફેબ્રુઆરીથી 15 જૂન 2026 સુધી રહેશે. હરરાજીમાં ભાગ લેવા ઈચ્છતા અરજદારે ગાળા દીઠ રૂ. 5000 સિક્યુરિટી ડિપોઝીટ સિવિક સેન્ટરમાં ભરી તેની અસલ પહોંચ રજૂ કરવાની રહેશે. સફળ અરજદારે દ્વિ-માસિક ભાડું એકસાથે ચૂકવવાનું રહેશે. જો કોઈપણ અરજદાર નિયત સમયમાં રકમ નહીં ભરે તો તેની ડિપોઝીટ જપ્ત કરી તેને 3 વર્ષ માટે ડિબાર કરવામાં આવશે. અહીં સ્ટોલ ધારકોએ વીજ જોડાણમાં PGVCLના સુરક્ષા નિયમોનું પાલન કરવાનું રહેશે અને કોઈપણ દુર્ઘટના માટે તેઓ જ જવાબદાર રહેશે. તેમજ આ હરરાજી કે ફાળવણી અંગે મ્યુનિસિપલ કમિશનરનો નિર્ણય આખરી ગણાશે. રાજકોટમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી બદલ 91 આસામીઓ પાસેથી રૂ. 27,600નો દંડ વસૂલાયો રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ અંતર્ગત તારીખ 29/01/2026ના રોજ હાથ ધરવામાં આવેલા આ સઘન અભિયાનમાં શહેરના મુખ્ય માર્ગો પર તપાસ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન 11.800 કિગ્રા જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું અને નિયમોનું ઉલ્લંઘન કરનારા 91 આસામીઓ પાસે રૂ. 27,600નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશ મ્યુનિસિપલ કમિશનરની સૂચના અને નાયબ મ્યુ. કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તથા ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઈજનેરો દ્વારા સુપરવાઈઝ કરવામાં આવી હતી. મનપાએ આપેલા બર્થ સર્ટી આધારકાર્ડ માટે અમાન્ય, પ્રશ્ન ઉકેલવા તંત્રની આરોગ્ય કમિશ્નરને રજૂઆત રાજકોટ સહિત રાજ્યની તમામ મહાપાલિકાઓમાં જન્મ-મરણના જૂના ડેટા કેન્દ્ર સરકારના સીઆરએસ (CRS) પોર્ટલ પર ટ્રાન્સફર નહીં થતા ગંભીર સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 6 માસથી જન્મ-મરણ વિભાગમાં અરાજકતાનો માહોલ છે, જેના કારણે રાજકોટ મનપા દ્વારા રાજ્યના આરોગ્ય કમિશનરને તાકીદની રજૂઆત કરવામાં આવી છે. રાજકોટ મનપા પાસે 1950થી જન્મ અને 1965થી મરણનો ડેટા ઉપલબ્ધ છે, પરંતુ UIDAI દ્વારા હવે માત્ર સીઆરએસ પોર્ટલના પ્રમાણપત્રો માન્ય રાખવાનો નિર્ણય લેવાતા મુશ્કેલી વધી છે. જૂનો ડેટા અપલોડ ન થવાને કારણે નવા આધાર કાર્ડ કઢાવવા, આયુષ્માન કાર્ડ મેળવવા, બોર્ડના ફોર્મ ભરવા કે પાસપોર્ટની કામગીરી અટકી છે. ખાસ કરીને ગંભીર બીમારીમાં સારવાર માટે આધાર જરૂરી હોય તેવા કિસ્સામાં બાળકોની સારવાર પણ શક્ય બનતી નથી. મનપાએ રજૂઆત કરી છે કે આઈટી ટીમ દ્વારા એક્સેલ ફોર્મેટમાં ડેટા તૈયાર કરી રાજ્ય કે કેન્દ્રના પોર્ટલ ઉપર તત્કાલ ટ્રાન્સફર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ગોધરા શાળાઓમાં ફાયર સેફ્ટી તાલીમ:શાળા સલામતી સપ્તાહ અંતર્ગત 4000 વિદ્યાર્થીઓને અપાઈ
ગોધરા ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા હાલમાં ચાલી રહેલા શાળા સલામતી સપ્તાહ અંતર્ગત સઘન જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે અત્યાર સુધીમાં ગોધરા શહેર સહિત જિલ્લાના મોરવા, સંતરોડ અને કાંકણપુર વિસ્તારની વિવિધ શાળાઓના આશરે 4000 વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન અને ફાયર સેફ્ટીની તાલીમ પૂરી પાડવામાં આવી છે. આ જ શૃંખલામાં તાજેતરમાં ગોધરા સ્થિત કેન્દ્રિય વિદ્યાલય ખાતે એજ્યુકેશન બિલ્ડીંગમાં એક વિશેષ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાયર વિભાગના નિષ્ણાત સ્ટાફે શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓને આગ અકસ્માત જેવી દુર્ઘટના સમયે ક્યા પ્રકારની સાવચેતી રાખવી અને બચાવ કામગીરી કરવી તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને માત્ર મૌખિક જાણકારી જ નહીં, પરંતુ આગ ઓલવવા માટેના ફાયર એક્સ્ટીન્ગ્યુશરનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું લાઈવ પ્રેક્ટિકલ નિદર્શન કરીને સમજાવવામાં આવ્યું હતું. કેન્દ્રિય વિદ્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો લાભ 225 જેટલા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ લીધો હતો.ફાયર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં સુરક્ષા અંગેની જાગૃતતા કેળવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પાલનપુર કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:ઓફિશિયલ ઈમેલ પર બે મેલ મળતા તંત્રમાં દોડધામ
બનાસકાંઠાના પાલનપુર સ્થિત કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી કચેરીના સત્તાવાર ઈમેલ આઈડી પર બે અલગ-અલગ ઈમેલ દ્વારા મોકલવામાં આવી હતી. ધમકી મળતા જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક સુરક્ષા પગલાં લેવાયા હતા. ધમકીના પગલે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક કલેકટર કચેરી પહોંચી હતી. ટીમો દ્વારા કચેરીની અંદરની ઓફિસો, બહારના કમ્પાઉન્ડ વિસ્તાર અને પાર્ક કરેલી ગાડીઓ સહિતના તમામ સ્થળોએ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. જિલ્લા કલેકટર મિહિર પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, કચેરીના સત્તાવાર ઈમેલ પર બોમ્બ મૂક્યા હોવાના બે મેલ મળ્યા હતા, પરંતુ તપાસમાં કશું શંકાસ્પદ મળ્યું નથી. સુરક્ષાના ભાગરૂપે કચેરીના તમામ સ્ટાફને બહાર મોકલી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા પણ કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હાલની તપાસમાં કશું શંકાસ્પદ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડથી આગામી રવિવારે ઇન્ટરનેશનલ મેરેથોન યોજશે. જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મેરેથોનના આયોજક તેજલ અમીને જણાવ્યું હતું કે, વડોદરા મેરેથોનનું 13મું એડિશન છે. જે પહેલી ફેબ્રુઆરીએ સવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ફ્લેગ-ઓફ કરવામાં આવશે. આ વખતે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે, અત્યાર સુધીમાં 1,10,000થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ફિટ ઈન્ડિયા' અને 'સ્વસ્થ ભારત' અભિયાનને વેગ આપવા માટે અમે આ વખતે માનસિક સ્વાસ્થ્ય અને નશામુક્તિ પર ભાર મૂક્યો છે. પોલીસ કમિશનરશ્રી દ્વારા 'નશામુક્ત ભારત' ના સંકલ્પ લેવાનું આયોજન કરાયું છે. આ એક વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં સ્થાન પામે તેવું આયોજન છે, જેમાં તમામ દોડવીરો એકસાથે આ સંકલ્પ લેશે. વડોદરા મેરેથોન હંમેશા ઈન્ક્લુઝિવિટીમાને છે. દિવ્યાંગો માટે તો પહેલેથી જ દોડ હતી, પરંતુ આ વખતે મહારાણી રાધિકારાજે ગાયકવાડની પ્રેરણાથી 'ગજરા રન' માં LGBTQ કમ્યુનિટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ કેટેગરીમાં પણ આશરે 700 જેટલા રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. ગઈકાલે મને ગુજરાતની ટીમના ખેલાડીઓ અને વિદેશી ખેલાડીઓને મળવાની તક મળી હતી. તેઓ ખૂબ જ ઉત્સાહી છે અને સખત પ્રેક્ટિસ કરી રહ્યા છે. મેં તેમને મેરેથોન માટે આમંત્રણ આપ્યું છે અને મને આશા છે કે તેમાંથી કોઈને કોઈ ચોક્કસપણે આવીને દોડવીરોને પ્રોત્સાહિત કરશે. મહારાણી રાધિકારજે ગાયકવાડે જણાવ્યું હતું કે, આગામી 1 ફેબ્રુઆરી, 2026ના રોજ વડોદરામાં વડોદરા મેરેથોનની 13મી આવૃત્તિ યોજાવા જઈ રહી છે. આ વખતે આ આયોજનમાં ઘણું નવું છે. આ વર્ષે વડોદરા મેરેથોનમાં એક 'ગજરા રન' (Gajra Run) નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વડોદરા મેરેથોન દ્વારા અમને સોંપવામાં આવેલી એક નવી અને ઉમદા પહેલ છે. શ્રીમતી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય વડોદરા મેરેથોનનો ખૂબ જ આભારી છે કે તેમણે આ તક આપી.
મોરબીના કૈલાસનગરમાં 11 મકાનો સીલ:મહાપાલિકાએ મંજૂરી વગરના બાંધકામો સામે કાર્યવાહી કરી
મોરબી શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે મહાપાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે. આ અંતર્ગત મોરબીના કૈલાસનગર વિસ્તારમાં મંજૂરી વગર બની રહેલા 11 રહેણાંક મકાનોને સીલ કરવામાં આવ્યા છે. મહાપાલિકાની ટીમે સ્થળ પર જઈને આ ગેરકાયદેસર બાંધકામોને સીલ કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ બાંધકામો માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. થોડા દિવસો પહેલાં પણ મોરબી મહાપાલિકાએ નાની કેનાલ રોડ પર એક એપાર્ટમેન્ટના ગેરકાયદેસર બાંધકામને સીલ કર્યું હતું. તે કિસ્સામાં પણ નોટિસ આપ્યા બાદ બાંધકામ ચાલુ રહેતા કાર્યવાહી કરવામાં આવી હતી. મહાપાલિકાના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે શહેરના કોઈપણ વિસ્તારમાં મંજૂરી વગર કે નિયમ વિરુદ્ધનું બાંધકામ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગેરકાયદેસર બાંધકામોને કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. શહેરીજનોને બાંધકામ શરૂ કરતા પહેલા મહાપાલિકાની જરૂરી મંજૂરી મેળવી લેવા અપીલ કરવામાં આવી છે, અન્યથા નોટિસ અને મિલકત સીલ કરવા સુધીના પગલાં લેવામાં આવશે.
અમદાવાદના બોપલમાં રહેતા 25 વર્ષીય યુવક સાથે ક્રિપ્ટો ટ્રેડિંગના નામે 2.84 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામ પર ટ્રેડિંગ સંબંધિત પેજ ઓપન કર્યા બાદ યુવકનો સંપર્ક ગઠિયાઓ સાથે થયો હતો. જેમણે પોતાને રિલેશનશીપ મેનેજર તરીકેની ઓળખ આપી હતી. 10થી 30 ટકા નફાની લાલચ આપીને યુવક પાસેથી ક્રિપ્ટોમાં રોકાણ કરાવાયું હતું. શરૂઆતમાં નાની રકમ વિડ્રો થવાથી યુવક વિશ્વાસમાં આવી ગયો હતો. પરંતુ મોટી રકમ કાઢવા જતા એપ્લિકેશન બંધ થઈ ગઈ હતી. જે બાદ છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ક્રિપ્ટો ટ્રેડિંગના લોભામણી લાલચ રાખવી યુવકને ભારે પડી સોશિયલ મીડિયા પર વધતા ક્રિપ્ટો ટ્રેડિંગના લોભામણી લાલચ રાખવી વધુ એક યુવકને ભારે પડી છે. બોપલમાં રહેતા અને ફાર્મસીમાં નોકરી કરતા 25 વર્ષીય યુવક સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે 2.84 લાખ રૂપિયાની ગઠિયાઓએ છેતરપિંડી આચરી છે. 10થી 30 ટકા પ્રોફિટની લાલચ આપીયુવકે ગત 5 જાન્યુઆરીએ ઇન્સ્ટાગ્રામ પર ટ્રેડિંગ સંબંધિત એક પેજ જોયું હતું અને તેને ઓપન કર્યું હતું. પેજ ઓપન કર્યા બાદ થોડા સમયમાં યુવકને વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો. મેસેજ કરનારા ગઠિયાએ પોતાને રિલેશનશીપ મેનેજર તરીકે ઓળખ આપી હતી અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરશો તો 10થી 30 ટકા સુધીનો નફો મળશે તેવી લાલચ આપી હતી. પહેલી વખત 15 હજાર રૂપિયાનો નફો વિડ્રો કરાવી આપ્યોવિશ્વાસમાં લાવવા માટે યુવકને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી. ત્યારબાદ એક અન્ય શખ્સે પોતાને મેનેજર તરીકે ઓળખ આપી યુવકને ગાઈડ કરતો હતો. શરૂઆતમાં યુવકને નફો થતો દેખાડવામાં આવતા તેણે ધીમે ધીમે વિવિધ ટ્રાન્ઝેક્શન મારફતે ક્રિપ્ટો ખરીદી માટે પેમેન્ટ કર્યું હતું. યુવકને વિશ્વાસમાં લેવા માટે ગઠિયાઓએ યુવકને પહેલી વખત 15 હજાર રૂપિયાનો નફો વિડ્રો કરાવી આપ્યો હતો. 2.84 લાખની છેતરપિંડી જ્યારે બીજી વખત મોટી રકમ વિડ્રો કરવાની રિકવેસ્ટ મૂકવામાં આવી ત્યારે અચાનક એપ્લિકેશન બંધ થઈ ગઈ હતી. વોટ્સએપ અને અન્ય ફોન કરીને સંપર્ક કરવાનો પ્રયાસ કરતા કોઈ જવાબ મળ્યો નહીં. જેથી યુવકને 2.84 લાખની છેતરપિંડી થઈ હોવાની શંકા જતા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સુરતના યોગીચોક અને સાવલિયા સર્કલ જેવા વિકસિત વિસ્તારોમાં પીવાના પાણીની પાઈપલાઈનમાં ગટરનું પાણી ભળી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. સ્થાનિક રહીશો અને ખાસ કરીને ગૃહિણીઓએ આક્રોશ સાથે જણાવ્યું કે, છેલ્લા બે અઠવાડિયાથી પાણીનો રંગ એકદમ કાળો અને ડોહળો જોવા મળી રહ્યો છે. પાણીમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી છે, જેનો ઉપયોગ રસોઈમાં તો ઠીક, નાહવા-ધોવામાં કરવો પણ મુશ્કેલ બન્યો છે. વારંવારની રજૂઆતો છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કાન સુધી જનતાનો અવાજ પહોંચતો નથી. જેથી વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીની ગ્રાઉન્ડ વિઝીટ લીધી હતી. તંત્રને લોકોના જીવની કોઈ કિંમત નથીજનતાની મુશ્કેલીઓ જાણીને ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ આજે કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમની સાથે પ્રદેશ મહામંત્રી દર્શનભાઈ નાયક અને પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા સહિતના આગેવાનો જોડાયા હતા. નેતાઓએ રૂબરૂમાં લોકોના ઘરે જઈને સંગ્રહિત કરેલું દૂષિત પાણી જોયું હતું. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્થિતિ જોતા લાગે છે કે, તંત્રને લોકોના જીવની કોઈ કિંમત નથી. આરોગ્ય મંત્રીના વિસ્તારમાં જ અંધેર વહીવટસૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ વિસ્તાર રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયા મતવિસ્તારમાં આવે છે. તુષાર ચૌધરીએ આક્ષેપ કરતા કહ્યું કે, જો રાજ્યના આરોગ્ય મંત્રી પોતાના જ વિસ્તારના લોકોને શુદ્ધ પાણી પૂરું ન પાડી શકતા હોય તો સુરત મહાનગરપાલિકા અને રાજ્યના અન્ય વિસ્તારોની પરિસ્થિતિ કેટલી ભયાનક હશે તેની કલ્પના કરવી જ મુશ્કેલ છે. મંત્રીના નાક નીચે લોકો દૂષિત પાણી પીવા મજબૂર છે અને તંત્ર મૌન સેવી રહ્યું છે. જનતાના આરોગ્ય સામે ખતરોદૂષિત પાણીના વપરાશને કારણે યોગીચોક વિસ્તારમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. ઝાડા-ઊલટી અને પાણીજન્ય રોગોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકોએ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવી પડી રહી છે. તુષાર ચૌધરીએ ઇન્દોરની દુર્ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ત્યાં દૂષિત પાણીને કારણે 25 થી 30 લોકોના મોત થયા હતા. સુરતમાં પણ આવી જ કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ પાલિકા જોઈ રહી છે? કોંગ્રેસની કમિશનરને ચીમકી અને આગામી રણનીતિકોંગ્રેસ દ્વારા આ મામલે મ્યુનિસિપલ કમિશનર અને આરોગ્ય વિભાગને તાત્કાલિક અસરથી પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. જો આગામી 24 કલાકમાં પાણીના નમૂના લઈ યોગ્ય તપાસ કરવામાં નહીં આવે અને શુદ્ધ પાણી પૂરું પાડવામાં નહીં આવે, તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે. તુષાર ચૌધરીએ સ્પષ્ટ કર્યું છે કે, આગામી વિધાનસભા સત્રમાં તેઓ આ પ્રશ્ન પૂરજોશમાં ઉઠાવશે..
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
બાઇક આડે શ્વાન આવતા યુવાન પટકાયો:માથામાં ગંભીર ઈજા, ગોધરા સિવિલમાં દાખલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં એક માર્ગ અકસ્માત થયો હતો. ગુસલ ચોકડી પાસે બાઇક આડે અચાનક શ્વાન આવી જતાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. યુવાનને માથાના ભાગે ઈજા પહોંચતા તેને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કાલોલ તાલુકાના અગાસીની મુવાડી ગામના રહેવાસી જીતેન્દ્ર રાઠોડ પોતાની બાઇક પર વેજલપુર તરફ જઈ રહ્યા હતા. આ ઘટના ગુસલ ચોકડી નજીક બની હતી. તે દરમિયાન અચાનક એક શ્વાન રસ્તા પર આવી ગયું હતું. શ્વાનને બચાવવાના પ્રયાસમાં જીતેન્દ્રભાઈએ બાઇક પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બાઇક સ્લીપ થઈ ગઈ અને તેઓ રોડ પર પટકાયા. આ અકસ્માતમાં જીતેન્દ્ર રાઠોડને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ તેમને તાત્કાલિક મદદ કરી અને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.
સોમનાથ વિધાનસભા વિસ્તારમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા દરમિયાન મતદારોના નામ કમી કરવામાં આવ્યાના ગંભીર આક્ષેપો સામે વેરાવળ ખાતે ડેપ્યુટી કલેક્ટર વિનોદ જોષીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ મુદ્દે જવાબદાર વ્યક્તિઓ સામે ન્યાયની માગણી કરવામાં આવી હતી, જેના પગલે ડેપ્યુટી કલેક્ટરે તપાસ અને ન્યાયસંગત કાર્યવાહીની ખાતરી આપી છે. રજૂઆતમાં જણાવાયું હતું કે SIR પ્રક્રિયાના બહાને અનેક પાત્ર મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આના કારણે લોકશાહી પ્રક્રિયા પર ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને, અલ્પસંખ્યક વિસ્તારોમાં નામ કમી થવાના બનાવોએ લોકોમાં અસંતોષ અને ચિંતા ફેલાવી છે. આવેદનપત્ર સ્વીકારતી વખતે ડેપ્યુટી કલેક્ટર જોષીએ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈ વિગતવાર તપાસ કરવાની ખાતરી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈપણ પાત્ર મતદાર સાથે અન્યાય નહીં થાય અને નિયમ મુજબ જરૂરી સુધારાઓ તથા ન્યાયસંગત કાર્યવાહી કરવામાં આવશે. આ મહત્વની રજૂઆત દરમિયાન જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ મહંમદભાઈ તવાણીના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં ગોવિંદપરાના સરપંચ હનિફભાઈ સુમરા, ડારીના સરપંચ ફારુકભાઈ આકાણી, સીડોકરના સરપંચ બાલુભાઈ મકવાણા, ઉપસરપંચ સતાર તવાણી, હમીરભાઈ આંબેચડા, ચમોડાના સરપંચ સદામભાઈ, હસ્નાવદરના સરપંચ અનવરભાઈ, વડોદરા ડોડિયાના દિનેશભાઈ આમહેડા સહિત અનેક ગામોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જવાબદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મતાધિકાર એ લોકશાહીનો મૂળભૂત હક છે અને કોઈ પણ સંજોગોમાં પાત્ર નાગરિકોના નામ યાદીમાંથી દૂર થવા ન જોઈએ. જો આ બાબતે યોગ્ય પગલાં નહીં લેવાય તો આવનારા દિવસોમાં વધુ વ્યાપક આંદોલન કરવાની પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈ વેરાવળ અને સોમનાથ પંથકમાં રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. આગામી દિવસોમાં વહીવટી કાર્યવાહી કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
OMEGA INTERACTIVE TECHNOLOGIES LIMITED RAJBHA PRODUCT વચ્ચે 3 ગુજરાતી ફિલ્મ માટેનો કોન્ટ્રાક્ટ થયો છે. આ ત્રણેય ગુજરાતી ફિલ્મ 2026 માં રિલીઝ થશે..આ ફિલ્મ અલગ અલગ ઝોનરની હશે..આ ત્રણ ફિલ્મમાંથી એક ફિલ્મનું ડાયરેકશન અખિલ કોટક દ્વારા કરવામાં આવશે... ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને દર્શકો માટે આ ત્રણ નવી ફિલ્મ એક અલગ મનોરંજન અને આનંદ પૂરૂં પાડનારૂ હશે. ત્રણ માંથી બે ફિલ્મમાં લોકપ્રિય ગુજરાતી અભિનેતા અરવિંદ વેગડા અલગ અલગ રોલમાં જોવા મળશે ત્રણ ફિલ્મોનું પ્રોડક્શન રાજભા પ્રોડક્શન દ્વારા કરવામાં આવશે. ઓમેગા ઈન્ટરેક્ટીવે ત્રણ ફિલ્મ બનાવવાનો કોન્ટ્રાક્ટ રાજભા પ્રોડક્શનને આપ્યો છે. આ માટે બન્ને વચ્ચે કરાર પણ થયા છે. આ માટે એક ખાસ ફંકશનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મીડિયા સાથે વાત કરતા ગુજરાતી અભિનેતા અરવિંદ વેગડાએ જણાવ્યું કે, હાલમાં ગુજરાતી ફિલ્મો માટો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. 2025નું વર્ષ ગુજરાતી ફીલ્મ માટે ખૂબ સરસ રહ્યું છે. ગુજરાતી ફીલ્મ ઈન્ડસ્ટ્રીઝનું ભવિષ્ય જોતા OMEGA INTERACTIVE એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો છે. OMEGA INTERACTIVE નો મુખ્ય ઉદ્દેશ ગુજરાતી ફિલ્મોને વધુમાં વધુ વેગ મળી રહે તે છે. ત્રણ માંથી એક ફીલ્મ પ્રે બ્રંક જેની પર કામ પૂર્ણ થવા આવ્યું છે. અન્ય બે ફીલ્મ છે ડાલા મથ્થું અને ડીટેક્ટીલ જેમાં હું પણ સામેલ છું. રાજભા પ્રોડક્શનના માલિક રાજભાએ કહ્યું કે, પહેલા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સામે કોઈ જોતું પણ ન હતું. પરંતુ આજે લાલો જેવી ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કરીને રેકોર્ડ કરી નાખ્યો છે. પહેલા તો લાંબા સમયે કોઈ એક ફિલ્મ આવતી હતી આજે તો અઠવાડીયામાં 2-3 ફિલ્મ રીલીઝ થઈ જાય છે.અમે આ ફીલ્મ દ્વારા એક સારો એવો મેસેજ પણ આપવા માંગીએ છીએ. ફીલ્મ ડીરેક્ટર અખિલ કોટકે જણાવ્યું કે, ગુજરાતી ઈન્ડસ્ટ્રીઝ ઘણી આગળ વધી ગઈ છે. છેલ્લા 1-2 વર્ષમાં ગુજરાતી ફીલ્મોમાં સારું એવું બોક્સ ઓફીસ ક્લેકશન આવી ગયું છે. આવી જ રીતના ગુજરાતી ફીલ્મ ઈન્ડસ્ટ્રીઝ આગળ વધતી રહે તો આપણા બધા માટે ઘણી આનંદ દાયક વાત કહેવાય. ગુજરાતી ઓડીયન્સને અલગ અલગ વિષય પર ફીલ્મ આપતા રહેવું જોઈએ. આ ત્રણેય ફીલ્મ પણ એવી જ રીતના ઓડીયન્સને મનોરંજન કરાવશે.
ભારતીય કોસ્ટ ગાર્ડ તાલીમ કેન્દ્ર (CGTC), કોચીએ ૨૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ICG લૉ એન્ડ ઓપરેશન્સ કોર્સની 81મી બેચની પાસિંગ આઉટ પરેડનું આયોજન કર્યું હતું. ઇન્સ્પેક્ટર જનરલ તેકુર શશિ કુમાર, TM, COMCG (નોર્થ વેસ્ટ)એ પરેડનું નિરીક્ષણ કર્યું અને વ્યાવસાયિક શ્રેષ્ઠતા તથા અદ્ભુત સૈન્ય શિસ્ત માટે મેધાવી અધિકારીઓને સન્માનિત કર્યા. ફ્લેગ ઓફિસરે ઇન્સ્ટ્રક્ટર્સ અને તાલીમ સ્ટાફના સમર્પણની પ્રશંસા કરી તેમજ માતા-પિતાના અડગ સમર્થનને સ્વીકાર્યું. મેરીટાઇમ લૉ એન્ફોર્સમેન્ટ અને ICG વિશિષ્ટ ઓપરેશન્સમાં તાલીમ પામેલા આ અધિકારીઓ હવે ICG જહાજો પર ફ્રન્ટલાઇન ડેપ્લોયમેન્ટ અને વોચકીપિંગ સર્ટિફિકેશન માટે તૈયાર છે.
અમદાવાદમાં પાણીના જથ્થામાં વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દૈનિક 467 MLD જેટલું નર્મદાનું પાણી વધારે મળશે. હાલમાં શહેરમાં દૈનિક 1600 MLD પાણી મળી રહ્યું છે. સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં રીંગ રોડની આસપાસ વૈષ્ણોદેવી, એસ.જી. હાઇ-વે સહિતના પાણીનો જથ્થો વધુ મળી રહેશે. રિંગ રોડની આસપાસમાં દિન-પ્રતિદિન વસ્તીમાં વધારોસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં દિન પ્રતિદિન વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં રિંગ રોડની આસપાસમાં રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારો બની રહ્યા છે. નાગરિકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેના માટે નર્મદા નિગમ પાસે પાણી માંગવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી સમક્ષ પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી જેના માટે હવે નર્મદાનું પાણી વધારે મળશે. દૈનિક 467 MLD જેટલું પાણી વધારાનું મળશે. જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી વધારવામાં આવશેવધુમાં તેમણે જણાવ્યું હતું કે, અત્યારે હાલમાં 1600 MLD એ જેટલું પાણી નાગરિકોને મળી રહ્યું છે. પશ્ચિમ વિસ્તારમાં રિંગ રોડ આસપાસ ગોતા, ચાંદખેડા, વૈષ્ણોદેવી, શીલજ, બોપલ ઘુમા લોકોના રહેણાંક વિસ્તારમાં રહેણાંક સ્કીમ વધી છે. નાગરિકોની સંખ્યા વધી હોવાના પગલે ત્યાં પાણીનો જથ્થો વધારવામાં આવ્યો છે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી વધારવામાં આવશે. અમદાવાદ શહેર સંસ્થાકીય, વાણિજ્યિક અને ઔદ્યોગિક વિકાસને કારણે ઝડપી ગતિએ વિકાસ કરી રહ્યું છે તેમજ યુનેસ્કો દ્વારા અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેની માન્યતા અને રમતગમત તથા પર્યટન સંબંધિત પ્રોજેક્ટ્સ તેમજ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને સમર ઓલિમ્પિક્સ જેવા વૈશ્વિક ઇવેન્ટ્સના કારણે શહેરમાં મોટા પાયે સ્થળાંતરના કારણે પાણીની માંગમાં વધારો થવાના લીધે અમદાવાદ શહેરની હાલની વર્ષ 2025ની વસ્તી તથા વર્ષ 2040માં 1.40 કરોડની આસપાસની વસ્તીને ખાસ કિસ્સા તરીકે ધ્યાને લઈ સરદાર સરોવર નર્મદા નિગમ લીમિટેડ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સ્થળે હાલમાં અગાઉ ફાળવણી કરેલા પાણીના જથ્થા ઉપરાંત જાસપુર ખાતે કુલ 467 એમ.એલ.ડી. પીવાના પાણીના જથ્થાની મંજુરી આપવામાં આવી છે.
બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર હુમલા પ્રકરણે પોલીસ સંકજામાં સપડાયેલા 14 શખસો હાલ જેલ હવાલે છે. ત્યારે જેલ મુક્ત થવા 8 આરોપીએ તેમના વકીલ મારફતે મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકી હતી. જ્યારે અન્ય એક બગદાણાના શખસે પોતાની આગોતરા અરજી પણ મુકી હતી. આજે મહુવા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેને લઈને આજે મહુવા કોર્ટમાં 8 આરોપીના રેગ્યુલ અને એકના આગોતરા જમીન અનુસંધાને મુદત પડી હતી અને આગામી તા. 2 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. જોકે, પોલીસ સોગંદનામા રિપોર્ટ સબમીટ ન થતા મુદત પડી હોવાનું જાણવા મળ્યું હતું. 14માંથી 8 આરોપીઓની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજીહાલ જેલમાં રહેલા 14 આરોપી પૈકી આઠ આરોપી રાજુ દેવાયતભાઈ ભમ્મર, વિરૂ મધુભાઈ સયડા, આતુ ઓધડભાઈ ભમ્મર, ભાવેશ ભગવાનભાઈ છેલાણા, વિરેન્દ્ર જેરામભાઈ પરમાર, પંકજ માવજીભાઈ મેર, સની ઉર્ફે સતીષ વિજયભાઈ વનાલિયા અને ઉત્તમ ભરતભાઈ બાંભણીયાએ જેલ મુક્ત થવા વકીલ મારફતે મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. બગદાણા ગામના એક શખસની આગોતરા જામીન અરજીજ્યારે અન્ય બગદાણા ગામે રહેતા પાતુભાઈ ભુથાભાઈ ભાદરકાએ પોતાના વકીલ મારફતે આગોતરા જામીન અરજી પણ કરી હતી. આ તમામ જામીન અરજી પર આજે મહુવા કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેને લઈને આજે મહુવા કોર્ટે 8 શખસોની રેગ્યુલર જામીન અરજી અને એકના આગોતરા જામીન અરજીને સાંભળવા તારીખ પડી હતી. આગામી 2 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. પોલીસ સોગંદનામા રિપોર્ટ સબમીટ ન થતા મુદત પડીઆજે રેગ્યુલર જામીન અને આગોતરા જામીન અરજીને લઈ બગદાણાના ચકચારી પ્રકરણના ફરિયાદી નવનીત બાલધિયા પણ કોર્ટમાં હાજર રહ્યા અને પોલીસ સોગંદનામા રિપોર્ટ કોર્ટમાં સબમીટ ન થતા આગળની તારીખ પડી હોવાનું જાણવા મળ્યું હતું.
ગોધરા તાલુકાના નદીસર ખાતે ₹4.64 કરોડની ગેરકાયદે ખનીજ ચોરીના કેસમાં કાકણપુર પોલીસે એક આરોપી રાજુ ભરવાડને ઝડપી પાડ્યો છે. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ મામલે ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની નદીસર ગ્રામ પંચાયત હસ્તકની જમીનમાંથી ગેરકાયદે ખોદકામ કરીને કરોડો રૂપિયાની ખનીજ ચોરી કરવામાં આવી હતી. આમાં ₹3.33 કરોડની ખનીજ ચોરી અને પર્યાવરણને નુકસાન બદલ ₹1.31 કરોડ સહિત કુલ ₹4.64 કરોડ ઉપરાંતની વસૂલાતનો સમાવેશ થાય છે. ગ્રામજનો દ્વારા નદીસર ગ્રામ પંચાયતની અલગ-અલગ સર્વે નંબરની જમીનો તેમજ સરદાર સરોવર પુનઃ વસવાટ માટે ફાળવવામાં આવેલી જમીનમાંથી મોટા પાયે ગેરકાયદે ખનીજ ચોરી થઈ હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના પગલે ખાણ ખનીજ વિભાગની ટીમે સ્થળ પર માપણી કરી હતી. તપાસમાં આશરે 1 લાખ 89 હજાર મેટ્રિક ટન જેટલી સાદી માટી અને મોરમનું ગેરકાયદે ખનન થયું હોવાનું સામે આવ્યું હતું. ખાણ ખનીજ વિભાગે ₹3.33 કરોડની ખનીજ ચોરી અને ₹1.31 કરોડના પર્યાવરણ નુકસાન સહિત કુલ ₹4.64 કરોડની રકમની વસૂલાત માટે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં કબીરપુરના રાજુભાઈ ભરવાડ, અજય ભરવાડ અને વિરમ ભરવાડ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદના આધારે કાંકણપુર પોલીસે રાજુ ભરવાડને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો છે.
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે વર્ષ 2026-27 માટે રૂ. 1860 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું છે. આ બજેટમાં નાગરિકો પર વિવિધ વેરા વધારાનો બોજ સૂચવવામાં આવ્યો છે. આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે સૂચવેલા નવા કરદરમાં વાહનવેરો, વોટર ચાર્જ, સોલિડ વેસ્ટ ચાર્જ, એન્વાયરમેન્ટ-ઇમ્પ્રુવમેન્ટ ગ્રીનરી ચાર્જ, ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શન ચાર્જ અને ફાયર ચાર્જમાં વધારો સામેલ છે. આ ઉપરાંત, રણમલ તળાવ એમ્યુઝમેન્ટ પાર્ક, રણમલ તળાવ જોગિંગ-વોકિંગ, રણજીતસાગર પાર્ક અને સિટી મ્યુઝિયમની પ્રવેશ ફીમાં પણ વધારો સૂચવાયો છે. સ્ટ્રીટ લાઇટ ચાર્જમાં પણ વધારો પ્રસ્તાવિત છે. આ તમામ વેરા વધારાને કારણે નાગરિકો પર કુલ રૂ. 9.10 કરોડનો વધારાનો કરબોજ આવશે. આ ડ્રાફ્ટ બજેટ અને સૂચવેલા વેરા વધારા અંગે આગામી જનરલ બોર્ડની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આગામી સમયમાં, સ્થાયી સમિતિ દ્વારા બજેટમાં સુધારા-વધારા કરવામાં આવશે અને ત્યારબાદ તેને જનરલ બોર્ડ સમક્ષ રજૂ કરાશે. અંતિમ મંજૂરી માટે, જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું બજેટ સુધારા-વધારા સાથે સામાન્ય સભામાં રજૂ કરી મંજૂર કરવામાં આવશે.
પાટણ સીટી બી-ડિવીઝન પોલીસે છેતરપિંડીનો ભોગ બનેલા અરજદારોને આર્થિક નુકસાનમાંથી બચાવી કુલ ₹26,74,000 નો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસે 12 દિવસ પહેલા ઠગાઈ દ્વારા પડાવી લેવાયેલ એક કિંમતી આઈસર ગાડી અને બે મોબાઈલ ફોન શોધી કાઢી 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને પરત કર્યા છે. પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા અને કિંમતી મુદ્દામાલ, વાહનો તેમજ મોબાઈલ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાઓને પગલે સિદ્ધપુર નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડ્યા અને પાટણ સીટી બી-ડિવીઝન પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી છેલ્લા 12 દિવસ દરમિયાન તપાસ ચલાવી ઠગાઈ દ્વારા ચોરાયેલ મુદ્દામાલ મેળવવામાં સફળતા મેળવી છે. રિકવર કરવામાં આવેલા મુદ્દામાલની વિગતો મુજબ, ₹26,65,000 ની કિંમતની આઈસર ગાડી (રજીસ્ટ્રેશન નંબર GJ-24-X-7147) જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, ₹4,500 ની કિંમતનો ઓપો કંપનીનો એક મોબાઈલ અને ₹4,500 ની કિંમતનો વીવો કંપનીનો એક મોબાઈલ એમ કુલ ₹9,000 ના મોબાઈલ ફોન પણ મેળવી લેવામાં આવ્યા છે. આમ, પોલીસે કુલ ₹26,74,000 નો મુદ્દામાલ અરજદારોને પરત અપાવી તેમને થતું મોટું આર્થિક નુકસાન અટકાવ્યું છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. સોલંકી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈ.જી. મોરી, હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ પ્રહલાદસિંહ, દશરથસિંહ ભોપાજી, તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ હેમુભા અને મહેશભાઈ શિવાભાઈ જોડાયા હતા.
નવસારી જિલ્લા ભાજપ દ્વારા તાજેતરમાં 'VB-G રામજી' યોજના અંગે એક વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત મનરેગાના સ્થાને હવે શ્રમિકોને 100 ને બદલે 125 દિવસની રોજગારીની ગેરંટી મળશે. કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલી આ મહત્વાકાંક્ષી યોજના વિશે જનજાગૃતિ લાવવા અને કાર્યકરોને માહિતગાર કરવાના હેતુથી આ કાર્યશાળા યોજાઈ હતી. જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ અને મુખ્ય વક્તા તરીકે સુરત જિલ્લા ભાજપના મહામંત્રી જગદીશભાઈ પારેખે ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુખ્ય વક્તા જગદીશભાઈ પારેખે જણાવ્યું હતું કે, આ યોજના સમાજના અંતિમ પંક્તિમાં ઉભેલા શ્રમિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, મનરેગાના સ્થાને આવેલી આ નવી યોજનામાં રોજગારીની ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ કરવામાં આવી છે. પારેખે વધુમાં ઉમેર્યું કે, આ યોજનાની સફળતાનો મુખ્ય આધાર ભાજપના પાયાના કાર્યકરો પર છે, જેઓ આ માહિતી ઘર-ઘર સુધી પહોંચાડીને વધુમાં વધુ લોકોને લાભાર્થી બનાવશે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર ગરીબ અને વંચિતોના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે. તેમણે ઉમેર્યું કે, 'VB-G રામજી' યોજના માત્ર રોજગાર જ નહીં, પરંતુ ગ્રામીણ માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે પણ મહત્વની છે. આ કાર્યશાળામાં જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, પ્રદેશ કારોબારી સભ્ય શીતલબેન સોની અને કાર્યક્રમના ઇન્ચાર્જ આશિષ દેસાઈ સહિત તાલુકા અને મંડલ સ્તરના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોને સક્રિય રીતે મેદાનમાં ઉતરીને વધુમાં વધુ લાભાર્થીઓને આ યોજના સાથે જોડવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
જલાલપોર શાળા ગેટ પાસે તાંત્રિક વિધિ:લીંબુ-નારિયેળ મળતા ચકચાર, આચાર્યએ પોલીસ ફરિયાદ કરી
જલાલપોર તાલુકાની મહુવર પ્રાથમિક શાળાના ગેટ અને સ્ટેજ પાસે અજાણ્યા શખ્સો દ્વારા તાંત્રિક વિધિ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. શાળાના પ્રવેશદ્વાર અને સ્ટેજ પાસે લીંબુ, નારિયેળ, બંગડીઓ જેવી શંકાસ્પદ સામગ્રી મળી આવતા વાલીઓ અને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાથી બાળકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટના આજે સવારે 7:30 કલાકે પ્રકાશમાં આવી હતી, જ્યારે શાળાના આચાર્ય અને સ્ટાફ શાળાએ પહોંચ્યા હતા. તેમને શાળાના એક મકાનના દરવાજા પાસે અને સ્ટેજ પાસે તાંત્રિક વિધિ માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી જોવા મળી હતી. મળેલા સામાનમાં બે ફાડેલા લીંબુ, ચોખા, કાંસકી, કાળા તલ, એક નારિયેળ અને લાલ રંગનો કાપડનો ટુકડો શામેલ હતો. આ સામગ્રી જોઈને શાળાએ આવતા નાના બાળકો ગભરાઈ ગયા હતા. આચાર્યએ તાત્કાલિક બાળકોને સમજાવીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ ઘટના અંગે શાળાના આચાર્યએ મરોલી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ લેખિત અરજી આપી છે. આચાર્યએ જણાવ્યું હતું કે, આવી પ્રવૃત્તિઓ બાળકોના માનસ પર નકારાત્મક અસર કરે છે અને શાળા પરિસર ભયમુક્ત રહે તે માટે કાયદેસરની કાર્યવાહી જરૂરી છે. શાળાના મુખ્ય ગેટ પાસે રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા આ વિધિ કરવામાં આવી હોવાની આશંકા છે. શાળા તંત્ર દ્વારા CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, જેથી દોષિતોને શોધી શકાય. સ્થાનિક વાલીઓએ આ ઘટનાની નિંદા કરી છે અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
બોટાદ જિલ્લાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નં. 16 ખાતે 'શાળા સલામતી સપ્તાહ' અંતર્ગત બાળ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં તેમના અધિકારો, સુરક્ષા અને સહાય સેવાઓ અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 વિશે વિસ્તૃત માહિતી અપાઈ. તેમને સમજાવવામાં આવ્યું કે 1098 શું છે, તે કેવી રીતે કાર્ય કરે છે અને મુશ્કેલીમાં મુકાયેલા બાળકોને કેવી રીતે તાત્કાલિક મદદ પૂરી પાડે છે. બાળલગ્ન, ભિક્ષાવૃત્તિ, ગુમ થયેલા બાળકો અને બાળમજૂરી જેવા કેસોમાં 1098 હેલ્પલાઇનની મદદ કેવી રીતે લઈ શકાય તે અંગે પણ માર્ગદર્શન અપાયું. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ વિષય પર વીડિયો દ્વારા સમજાવવામાં આવ્યું. આનાથી બાળકો સારા અને ખરાબ સ્પર્શ વચ્ચેનો ફરક સમજી શકે અને કોઈ પણ અયોગ્ય પરિસ્થિતિમાં મદદ મેળવવા સજાગ બની શકે. પાલક માતા-પિતા યોજના અને દત્તકવિધાન યોજના અંગે પણ ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી. આ જાગૃતિ કાર્યક્રમમાં ચાઇલ્ડ હેલ્પલાઇન બોટાદ (CHL-Botad) તરફથી જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જલ્પાબેન પરમાર અને કેસ વર્કર જસ્મીનબેન ઓઝા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે શાળા સ્ટાફે ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવા જાગૃતિ કાર્યક્રમો બાળકોની સુરક્ષા માટે અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું હતું.
કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર કુવૈતથી દિલ્હી જતી ઈન્ડિગો ફ્લાઈટને ટિસ્યુ પેપર પર હાઈજેક અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી.. જે બાદ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું.જો કે ચેકિંગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 8 ફૂટ ઉપરથી કાર પુલ નીચે ખાબકી,ત્રણના મોત રાજકોટના ગોંડલ-આટકોટ હાઈવે પર 8 ફૂટ ઊપરથી કાર પુલ નીચે ખાબકી અને આગના ગોળામાં ફેરવાઈ ગઈ.. દરવાજા જામ થઈ જતા છોટા ઉદેપુરના 2 મહિલા શિક્ષક અને એક શિક્ષક જીવતા સળગી ગયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રાવેલ્સની બસ સાઈડમાં ઉભેલા ટ્રક સાથે ભટકાઈ વડોદરામાં કરજણ ધાવટ ચોકડી પાસે બ્રિજ પર ટ્રાવેલ્સની બસ સાઈડમાં ઉભેલી ટ્રક સાથે ભટકાઈ..અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા,જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગબ્બર પર 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ અંબાજી શક્તિપીઠ પર આજથી 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ થયો.. આ પરિક્રમા 1 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપ નેતાના પરિવારનું નામ કમી કરવા અરજી બોટાદના ગઢડામાં ભાજપ નેતાના પરિવારના નામ મતદાર યાદીમાંથી કમી કરવા અરજી કરાઈ. અજાણ્યા વ્યક્તિએ નેતા ઈરફાન ખીમાણી અને તેમના પુત્રનું નામ રદ કરવા ફોર્મ- 7 ભર્યું.. જો કે મામલતદારે ખાતરી આપી છે કે તપાસ વગર કોઈ નામ નહીં નીકળે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રહીમ મકરાણીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા ગોંડલના બહુચર્ચિત અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ફરાર મુખ્ય રહીમ મકરાણીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. પોલીસે સાત દિવસના રિમાન્ડ માગ્યા હતા..મકરાણીની પૂછપરછમાં આ કેસમાં સંડોવાયેલા મોટા માથાના નામ બહાર આવી શકે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 72 કલાકથી ITના દરોડા,ધીરુ ગજેરા અજાણ સુરતના ગજેરાબંધુઓના લક્ષ્મી ગ્રુપ અને બિલ્ડરલોબી સાથે સંકળાયેલા અનિલ બગદાણાને ત્યાં 72 કલાકથી આઈટી વિભાગના દરોડા યથાવત છે.આ તરફ ધીરુ ગજેરાને IT રેડ અંગે ભાસ્કરે સવાલ પૂછ્તાં અજાણ હોવાનું રટણ કરીને ભાગ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પત્નીના પૂર્વ પતિએ છરાના ઘા મારી હત્યા કરી અમદાવાદમાં ફતેવાડી કેનાલ પાસે ઘરની બહાર જ યુવકની છરાના ઘા મારી હત્યા કરાઈ. યુવકની પત્નીના પૂર્વ પતિએ આડેધડ છરાના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભવનાથના મેળા માટે તડામાર તૈયારીઓ જૂનાગઢના ભવનાથમાં 11 થી 15 ફેબ્રુઆરી સુધી ચાલનારા મેળામાં રવેડીના રુટમાં સૌથી મોટો ફેરફાર.2900થી વધુ પોલીસ જવાનો અને સીસીટીવી કેમેરાથી મેળા પર ખાસ નજર રખાશે. 300 સામાજિક સંસ્થાઓ ભક્તો માટે ભોજન અને ઉતારાની નિઃશુલ્ક વ્યવસ્થા કરશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 48 કલાકમાં મળશે ઠંડીથી રાહત આગામી દિવસોમાં વાતાવરણમાં જોવા મળશે સતત બદલાવ.. હાલ અનુભવાતી ઠંડીમાંથી 48 કલાકમાં રાહત મળશે. ત્યાર બાદના ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં ફરી 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
ગુજરાત હાઇકોર્ટે સુરતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને તેના માતા-પિતાએ ભરણપોષણ માટે કરેલી અરજીના સંદર્ભે કોન્સિલિએશન અધિકારીએ પાઠવેલી નોટિસ પર સ્ટે આપ્યો છે. હાઇકોર્ટે અધિકારક્ષેત્રના આધારે આ નોટિસ પર રોક લગાવી છે. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટમાં મોટા પુત્ર દ્વારા અરજી કરવામાં આવી છે. માતા-પિતાએ મોટા પુત્ર પાસેથી ભરણપોષણ માગતી અરજી કરીસુરતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વૃદ્ધ માતા-પિતાએ સિનિયર સિટીઝન એક્ટ, 2007 હેઠળ જિલ્લા કલેક્ટર કચેરીમાં મોટા પુત્ર પાસેથી ભરણપોષણ માગતી અરજી કરી હતી. આ અરજી મેન્ટેનન્સ ટ્રિબ્યુનલ દ્વારા સુરતમાં કોન્સિલિએશન અધિકારી કે સામાજિક કલ્યાણ અધિકારી છે , તેમની પાસે મોકલવામાં આવી હતી. ત્યારબાદ 29 ઓક્ટોબર, 2025ના રોજ સમાધાન અધિકારીએ પુત્રને નોટિસ પાઠવીને જવાબ માગ્યો હતો. પુત્રએ હાઇકોર્ટમાં અરજી કરી હતીઆ નોટિસને પડકારતાં મોટા પુત્રએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેની તરફથી વકીલ ઝમીર શેખે દલીલ કરી હતી કે કોન્સિલિએશન અધિકારી કાયદા હેઠળ નિર્ધારિત ટ્રિબ્યુનલ નથી. અધિનિયમની કલમ 7 મુજબ મેન્ટેનન્સ ટ્રિબ્યુનલનું અધ્યક્ષપદ સબ-ડિવિઝનલ ઓફિસરથી નીચા દરજ્જાના અધિકારી પાસે હોઈ શકે નહીં. રાજ્ય સરકારે અધિનિયમની કલમ 18 હેઠળ જિલ્લા સામાજિક અધિકારીને મેન્ટેનન્સ ઓફિસર તરીકે નિમણૂક કરી છે, જે ટ્રિબ્યુનલની કાર્યવાહી દરમિયાન માતા-પિતાનું પ્રતિનિધિત્વ કરી શકે છે. હાઈકોર્ટે CAને પાઠવેલી નોટિસ પર આગામી મુદત સુધી સ્ટે આપ્યો જો કે હાલના કેસમાં સમાધાન અધિકારીએ મેન્ટેનન્સ ટ્રિબ્યુનલ તરીકે વર્તન કરીને નોટિસ પાઠવી છે, જે તેના અધિકારક્ષેત્ર બહાર છે. આ બાબત ટ્રિબ્યુનલના અધિકાર હેઠળ આવે છે અને અહીં નિયુક્ત અધિકારી ડેપ્યુટી જિલ્લા કલેક્ટર છે. હાઇકોર્ટે આ બાબતે કોન્સિલિએશન અધિકારીને નોટિસ પાઠવીને 27 ફેબ્રુઆરી સુધી જવાબ માગ્યો છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પાઠવેલી નોટિસ પર આગામી મુદત સુધી સ્ટે આપ્યો છે. વૃદ્ધ દંપતીએ નાના દીકરા સામે કરેલી ભરણ પોષણની અરજી પરત ખેંચી હતીઉલ્લેખનીય છે કે, વૃદ્ધ દંપતીનો નાનો પુત્ર પણ ચાર્ટડ એકાઉન્ટટ છે. જ્યારે એક પુત્રી પરિણીત છે. નાના દીકરા સામે કરેલી ભરણ પોષણની અરજી તેમને પરત ખેંચી હતી. સુરતમાં થયેલી જુદી જુદી અરજીઓમાં જણાવાયું હતું કે મોટો પુત્ર 10 હજાર અને નાનો પુત્ર 20 હજાર રૂપિયા માસિક ભરણ પોષણ આપે. મોટા પુત્રે તેમના બીજા ઘર અને દાગીના ઉપર કબજો જમાવી દીધો છે. સંતાનોનો ફક્ત માતાપિતાની સંપતિ ઉપર જ હક્ક નથી પરંતુ, સંતાનની માતાપિતાની જાળવણી કરવાની ફરજ પણ છે. પુત્રો મહિને 2થી 3 લાખ રૂપિયા કમાય છેતેઓને માસિક 40 હજાર રૂપિયાની જરૂર છે. CA પુત્રને સંઘર્ષ કરીને માતાપિતાએ ભણાવ્યો છે. નાના પુત્રની પુત્રવધૂ ઝઘડાળું છે. તેઓ ફ્લેટનું મેન્ટેનન્સ આપતા નથી. પુત્રો મહિને 2થી 3 લાખ રૂપિયા કમાય છે. તેઓ અલગ રહેવા જતા રહ્યા છે. જો કે મળતી માહિતી મુજબ આ એક પારિવારિક સંબંધોની તકરાર છે. જેમાં માતાને સંતાનોના વ્યવહારથી ખોટુ લાગ્યું છે. પુત્રો હવે તેમના માતા-પિતાને રાખવા તૈયાર છે. વૃદ્ધ દંપતી જે ફ્લેટમાં રહે છે, તે ફ્લેટ પણ સુરતના પોશ વિસ્તારમાં આવેલ છે.
પાટણ તાલુકાના અનાવાડા ગામના રોનકબેન ગણપતભાઈ રાઠોડ BSFમાં એક વર્ષની તાલીમ પૂર્ણ કરીને વતન પરત ફર્યા છે. તેમના આગમન પર ગ્રામજનો, પરિવારજનો, સમાજના લોકો અને વિવિધ સમાજના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રોનકબેનના માતા લલિતાબેન રાઠોડ પાટણ શહેર હોમગાર્ડ યુનિટમાં મહિલા સભ્ય તરીકે ફરજ બજાવે છે. માતા પાસેથી પ્રેરણા લઈને રોનકબેન દેશસેવા માટે BSFમાં જોડાયા છે.તેમના પિતા રિક્ષા ચલાવીને દીકરીને ભણાવી છે. દીકરીએ ગામનું નામ રોશન કરતાં પરિવાર અને ગામના લોકોમાં ગર્વની લાગણી વ્યાપી છે. આ પ્રસંગે પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા અને રોનકબેનને શુભેચ્છાઓ તથા અભિનંદન પાઠવ્યા હતા.
નવસારીના વાતાવરણમાં પલટો:ઠંડી ઘટતા અને બદલાતા હવામાનથી કેરીના પાક પર જોખમની ભીતિ
નવસારી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ઠંડી ઘટતા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જેના કારણે કેરીના પાક પર જોખમની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગના આંકડા મુજબ, મહત્તમ તાપમાન 32.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. છેલ્લા સાત દિવસથી ઠંડીનો ચમકારો ઓછો થયો છે અને દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ વધ્યું છે. આ બદલાવ શિયાળાના અંતિમ તબક્કાનો સંકેત આપી રહ્યો છે. વાતાવરણમાં આવેલા આ અચાનક બદલાવને કારણે નવસારીના બાગાયતદારોમાં ચિંતા વ્યાપી છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં તૈયાર થતા કેરીના પાક પર હાલમાં 'મોર' (ફૂલ) આવવાની પ્રક્રિયા પૂરજોશમાં છે. કૃષિ નિષ્ણાતો અને ખેડૂતોના મતે, જો વાતાવરણમાં ભેજ અને તાપમાનનું સંતુલન બગડે તો કેરીના મોર ખરી પડવાની શક્યતા રહે છે. અનુકૂળ વાતાવરણ ન મળવાને કારણે કેરીના ઉત્પાદન પર માઠી અસર પડી શકે છે, જે ખેડૂતો માટે આર્થિક નુકસાનકારક સાબિત થશે.
સુરતના અડાજણ વિસ્તારમાં કેબલ બ્રિજ પાસે આવેલા રિવરફ્રન્ટ ખાતે ‘7મા તાપી અશ્વ શો-2026’નું ભવ્ય ઉદ્ઘાટન કૃષિ અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. મંત્રી વાઘાણીએ પોતે પણ અશ્વ સવારીનો આનંદ માણી ઉત્સાહ વધાર્યો હતો અને જણાવ્યું હતું કે અશ્વ પાલન એ માત્ર શોખ નથી પરંતુ આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને શૌર્યની વિરાસત છે જેને જાળવવી અનિવાર્ય છે. 30મી જાન્યુઆરીથી 2જી ફેબ્રુઆરી દરમિયાન શહેરના ઇતિહાસમાં પહેલીવાર એક ભવ્ય હોર્સ શોનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ચાર દિવસીય ઇવેન્ટમાં દેશભરમાંથી 400થી વધુ ઉમદા નસલના ઘોડાઓ પોતાની શક્તિ અને કરતબોનું પ્રદર્શન કરશે, જેમાં ઘોડાઓનું નૃત્ય, રોમાંચક રેસ, હાઈ-જમ્પિંગ અને વિવિધ પ્રકારની રમતગમતની સ્પર્ધાઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. રિવરફ્રન્ટના નયનરમ્ય લોકેશન પર યોજાનારા આ અનોખા મહોત્સવ દ્વારા સુરતીઓને અશ્વકળાની ભવ્યતાને નજીકથી જોવાનો અને માણવાનો એક સુવર્ણ અવસર સાંપડશે. સાહસિક રમતો અને મનોરંજનની અદભૂત રમઝટઆ 4 દિવસીય અશ્વ શો દરમિયાન વિવિધ પ્રકારની સાહસિક અને પારંપરિક રમતોનું આકર્ષક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટેન્ટ પેગિંગ, બેરલ રેસ, સંગીત ખુરશી અને હોર્સ ડાન્સ જેવી સ્પર્ધાઓ પ્રેક્ષકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. ખાસ કરીને દોડતા ઘોડે જમીન પરથી ખીલ્લો ઉખેડવાની કળા અને 'ગરો લેવો' જેવી કરતબો જોવા માટે સુરતીલાલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ રમતો માત્ર મનોરંજન જ નહીં, પરંતુ અશ્વ અને તેના સવાર વચ્ચેની અદભૂત એકાગ્રતા અને શિસ્તના દર્શન કરાવે છે. દેશભરમાંથી આવેલા જાતવાન અને કિંમતી અશ્વોસુરત હોર્સ સોસાયટીના આયોજક આકાશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ શોમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાનના જયપુર, પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી પણ અશ્વપ્રેમીઓ આવ્યા છે. કુલ 400થી વધુ જાતવાન અશ્વોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે, જેમાંથી 250 જેટલા અશ્વો ખાસ પ્રદર્શન માટે છે. આ પ્રદર્શનમાં કેટલાક અશ્વો તો કરોડોની કિંમતના છે, જેમના શારીરિક સૌષ્ઠવ અને ઉંચાઈ જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. આ મેળાવડો સાચા અર્થમાં રાષ્ટ્રીય કક્ષાનો અશ્વમેધ બની રહ્યો છે. બ્રીડ શો અને અશ્વોના શારીરિક સૌષ્ઠવની સ્પર્ધાઆગામી 1 અને 2 ફેબ્રુઆરીના રોજ આ મહોત્સવમાં ખાસ ‘બ્રીડ શો’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ઘોડાઓના શારીરિક બાંધા, ચામડીની ચમક, કાનની બનાવટ અને તેમની વિશિષ્ટ ‘રેવાલ ચાલ’ના આધારે નિષ્ણાત જજ દ્વારા પોઈન્ટ્સ આપવામાં આવશે. સિંધી, કાઠિયાવાડી અને મારવાડી એમ 3 મુખ્ય કેટેગરીમાં શ્રેષ્ઠ અશ્વોને વિજેતા જાહેર કરી પુરસ્કાર આપવામાં આવશે. આકાશ પટેલે ઉમેર્યું કે જે અશ્વ હાઈએસ્ટ પોઈન્ટ્સ મેળવશે તેને આ વર્ષનો ચેમ્પિયન જાહેર કરવામાં આવશે, જે અશ્વપાલકો માટે ગૌરવની બાબત ગણાશે. નવી પેઢીને વારસાની ઓળખ કરાવવાનો ઉમદા પ્રયાસઆ ભવ્ય આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય આધુનિક યુગમાં લુપ્ત થતી જતી અશ્વ સંસ્કૃતિને પુનઃજીવિત કરવાનો અને યુવા પેઢીને તેનાથી પરિચિત કરવાનો છે. રાજા-મહારાજાઓના સમયની આ ખેલદિલી અને પરંપરા વિશે આજની ડિજિટલ જનરેશન પ્રત્યક્ષ માહિતી મેળવે તે હેતુથી સુરતના વિદ્યાર્થીઓને આ શો નિહાળવા ખાસ અપીલ કરવામાં આવી છે. 30 જાન્યુઆરીથી શરૂ થયેલો આ અશ્વ મેળો 2 ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં સુરતની જાહેર જનતાને આ પરાક્રમી અશ્વોના દર્શન કરવા માટે આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અશ્વપાલકોને સરકારનું સહયોગ માટે ખુલ્લું નિમંત્રણમંત્રી જીતુભાઈ વાઘાણીએ વ્યક્તિગત અશ્વપાલકો અને વિવિધ હોર્સ સોસાયટીઓને ખાતરી આપી હતી કે, રાજ્યનો પશુપાલન વિભાગ હંમેશા તેમની પડખે ઉભો છે. તેમણે તમામ અશ્વપાલકોને નવા સંશોધનો, ટેકનોલોજી અને સૂચનો સાથે સરકાર પાસે ખુલ્લા મને આવવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું. અશ્વોના રક્ષણ, રસીકરણ અને સંવર્ધન માટે સરકાર સબસિડી સહિતની વિવિધ યોજનાઓ પર સકારાત્મક રીતે કામ કરી રહી છે, જેથી આ શોખને વ્યવસાયિક રૂપ આપી શકાય અને પશુપાલકોની આવકમાં પણ વૃદ્ધિ કરી શકાય. આગામી બજેટમાં અશ્વ શો માટે વિશેષ જોગવાઈરાજ્ય સરકાર હવે પશુપાલન અને અશ્વ સંવર્ધનને રાજ્યવ્યાપી વેગ આપવા માટે ખૂબ જ ગંભીરતાથી આયોજન કરી રહી છે. મંત્રી જીતુભાઈ વાઘાણીએ મંચ પરથી મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હવેથી દર વર્ષે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ત્રણ મોટા હોર્સ શોનું આયોજન કરશે. આ હેતુસર આગામી બજેટમાં વિશેષ આર્થિક જોગવાઈ પણ કરવામાં આવી છે. આ સરકારી નિર્ણયથી અશ્વપાલકોને આર્થિક પ્રોત્સાહન મળશે અને ગ્રામીણ અર્થતંત્રમાં અશ્વપાલનનો વ્યવસાય ફરીથી ધમધમતો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. સિંધી અને કાઠિયાવાડી નસલ માટે બ્રીડિંગ સેન્ટરોદક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત આસપાસના વિસ્તારમાં સિંધી નસલના 600થી વધુ કિંમતી ઘોડાઓ અસ્તિત્વ ધરાવે છે. કાઠિયાવાડી, કચ્છી અને સિંધી જેવી પ્યોર ભારતીય નસલના અશ્વોના વૈજ્ઞાનિક ઢબે સંવર્ધન માટે સરકાર નવા ‘બ્રીડિંગ સેન્ટરો’ સ્થાપવા માટે ખૂબ જ ઉત્સુક છે. સુરત હોર્સ સોસાયટી જેવી સંસ્થાઓના સહયોગથી આ સેન્ટરો કાર્યરત કરવામાં આવશે, જેથી આ શુદ્ધ ઓલાદોનું જતન થઈ શકે અને ભવિષ્યમાં આ નસલના અશ્વોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરી શકાય.
ગુજરાતના યુવાધનન નશામુક્ત જીવનશૈલી તરફ વાળવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે ઇન્વિન્સિબલ NGO દ્વારા 'ગુજરાત કોસ્ટલ સાયક્લિંગ એક્સપેડિશન-2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 12 થી 22 જાન્યુઆરી દરમિયાન યોજાયેલા આ સાહસિક અભિયાનમાં સાયકલિસ્ટોએ દરિયાકાંઠાના 12 મુખ્ય શહેરોને આવરી લઈ કુલ 1400 કિમીનું અંતર કાપ્યું હતું. 'નો ડ્રગ્સ' સંદેશ સાથે જનજાગૃતિ આ કેમ્પેઇનનો મુખ્ય હેતુ માદક દ્રવ્યોના સેવનથી થતા નુકસાન વિશે જાગૃતિ લાવવા અને તેની માંગમાં ઘટાડો કરવાનો હતો. સમગ્ર માર્ગ પર ટીમ દ્વારા સ્થાનિક નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમને સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઠેર-ઠેર પ્રતીકાત્મક પ્રવૃત્તિઓ દ્વારા નશા વિરોધી સંદેશ વહેતો કરાયો હતો. ટીમ અને વિશેષ ઉપસ્થિતિ આ અભિયાનમાં 15 સાયકલિસ્ટ અને 2 બેકઅપ સ્ટાફ સહિત કુલ 17 સભ્યોની ટીમે ભાગ લીધો હતો. આ પ્રવાસમાં જાણીતા પર્વતારોહક અને એવરેસ્ટ સર કરનાર પ્રથમ ગુજરાતી મહિલા ચેતના સાહૂએ પણ જોડાઈને યુવાનોમાં જોમ ભર્યું હતું. તેમની સહભાગીદારીએ સાબિત કર્યું કે મજબૂત મનોબળ આગળ ઉંમર માત્ર એક આંકડો છે. વ્યાપક લોકસમર્થન સ્થાનિક પ્રશાસન અને પોલીસ વિભાગના સહયોગથી આ અભિયાન અત્યંત સફળ રહ્યું. વિવિધ શહેરોમાં સાયકલિસ્ટોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇન્વિન્સિબલ NGO આગામી સમયમાં પણ સામાજિક ઉત્થાન અને યુવા કેન્દ્રિત આવા કાર્યક્રમો ચાલુ રાખવા કટિબદ્ધ છે.
રાજકોટ મહાપાલિકાના વહીવટ અને વિકાસકાર્યોની ધીમી ગતિને લઈને રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં આવી છે. ગઈકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજકોટ સહિત રાજ્યની મહાપાલિકાઓના પદાધિકારીઓ અને કમિશ્નરોની એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તંત્રની કામગીરી સામે લાલ આંખ કરી હતી અને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી કે પ્રજાલક્ષી કાર્યોમાં કોઈપણ પ્રકારની બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં. બજેટ પૂર્વે વિકાસકાર્યોની સમીક્ષા અને CMની કડક સૂચનામુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આગામી વર્ષ 2025-26ના બજેટ અને વર્તમાન પ્રોજેક્ટ્સની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા મોટા પ્રોજેક્ટ્સમાં જે વહીવટી અવરોધો આવી રહ્યા છે તેને દૂર કરવા માટે મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું. આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ પણ આવી રહી છે, જેને ધ્યાનમાં રાખીને સરકારે તમામ મહાનગરોમાં પડતર પ્રશ્નોનો વહેલી તકે નિકાલ લાવવા આદેશ આપ્યો હતો. બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે જે યોજનાઓ અત્યારે 'પાઈપલાઈન'માં છે તેને ઝડપથી અમલી બનાવી અને જે કામો શરૂ થઈ ગયા છે તેને સમયમર્યાદામાં પૂર્ણ કરવા જોઈએ. તેમણે તાકીદ કરી હતી કે વિકાસના નામે પબ્લિક હેરાન થાય તેવું કોઈ કામ કરવાનું નથી. ખાસ કરીને બજેટમાં ફાળવવામાં આવેલી રકમનો મહત્તમ ઉપયોગ લોકોના કલ્યાણ માટે થાય તે જરૂરી છે. ટ્રાફિક સહિતના કોઈપણ પ્રશ્ને પ્રજા હેરાન થાય તે ચલાવી નહીં લેવાય. ડેપ્યુટી CMનો વેધક સવાલ-‘ખરાબ રસ્તાને કારણે સગાનું મોત થાય તો કેવું લાગે?’CM સાથેની બેઠક પૂર્વે રાજકોટના પદાધિકારીઓએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં હર્ષ સંઘવીએ રાજકોટમાં ચાલી રહેલા વિલંબિત પ્રોજેક્ટ્સ અને આંતરિક ખેંચતાણ અંગે ટકોર કરતા કહ્યું હતું કે, તમે શું કરો છો અને શહેરમાં શું ચાલી રહ્યું છે તેની અમને તમામ વિગતો અને ખબર છે. ખાસ કરીને શહેરના બિસ્માર રોડ-રસ્તા અંગે ચિંતા વ્યક્ત કરતા એક વેધક સવાલ પૂછ્યો હતો કે, ખરાબ રોડ રસ્તાને કારણે જો તમારા કોઈ નજીકના સંબંધી કે સગા-વહાલાનું મૃત્યુ થાય તો તમે કેવી લાગણી અનુભવો? પ્રજા પણ આપણો પરિવાર છે, તેમને પડતી મુશ્કેલીઓ તાત્કાલિક દૂર થવી જોઈએ. નાયબ મુખ્યમંત્રીએ શાસકો અને કમિશનરને એકસૂત્રતા અને સંકલનમાં રહીને કામ કરવાની કડક સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર રોડ, રસ્તા અને ડ્રેનેજ જેવા પાયાના કામો માટે કરોડોની ગ્રાન્ટ ફાળવે છે, છતાં જો જનતાને પ્રાથમિક સુવિધાઓ માટે હેરાન થવું પડતું હોય તો તે વહીવટી નિષ્ફળતા ગણાય. ત્યારે કોઈપણ યોજનાના અધૂરા કામને કારણે પ્રજાને હાલાકી ભોગવવી ન પડે તે જોવાની જવાબદારી અધિકારીઓ અને પદાધિકારીઓની છે. મુખ્યમંત્રીએ કામગીરીમાં પારદર્શિતા અને ગતિ લાવવાની શરત મૂકીરાજકોટમાં હાલ અનેક બ્રિજ, આવાસ યોજના અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. ગઇકાલની આ બેઠકમાં રાજકોટના વર્ષ 2025-26ના આગામી બજેટની રૂપરેખા અને રાજ્ય સરકાર દ્વારા મળનારી સહાય અંગે પણ ચર્ચાઓ થઈ હતી. પદાધિકારીઓએ શહેરના વિકાસ માટે વધારાની ગ્રાન્ટ અને વહીવટી મંજૂરીઓની માંગ કરી હતી, જેની સામે મુખ્યમંત્રીએ કામગીરીમાં પારદર્શિતા અને ગતિ લાવવાની શરત મૂકી હતી. રાજકોટના રાજકારણ અને વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયોઆ ઉચ્ચસ્તરીય બેઠક બાદ રાજકોટના રાજકારણ અને વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજ્યના ટોચના નેતૃત્વએ જે રીતે સીધું મોનિટરિંગ શરૂ કર્યું છે અને 'બધી ખબર છે' કહીને જે સંકેત આપ્યા છે, તેનાથી આગામી દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકાની કાર્યપદ્ધતિમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. પ્રજાના ટેક્સના નાણાંનો સદુપયોગ થાય અને રોડ-રસ્તા જેવી પાયાની જરૂરિયાતો સત્વરે સંતોષાય તે માટે હવે સ્થાનિક તંત્રએ દોડતું થવું પડશે. મ્યુ.કમિશ્નરે પેન્ડિંગ ફાઈલો અને વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજીરાજકોટ મનપાના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને કમિશ્નરને મુખ્યમંત્રીનું તેડું આવતા ગઈકાલે બંને પદાધિકારીઓ અને કમિશ્નર ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ 'ક્લાસ' લીધા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જે બાદ રાજકોટ આવતા જ બેઠકોનો ધમધમાટ શરુ થઇ ગયો છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા મહાનગરપાલિકાની કાર્યક્ષમતામાં વધુ સુધારો લાવવા, વહીવટી પ્રક્રિયાઓમાં ગતિ લાવવા તથા શહેરના સર્વાંગી વિકાસ અને સ્વચ્છતાને નવી દિશા આપવા હેતુસર ડેપ્યુટી કમિશનર, શાખાધિકારીઓ તેમજ ત્રણેય ઝોનના વોર્ડ ઓફિસર્સ સાથે વિસ્તૃત રિવ્યુ બેઠક સેન્ટ્રલ ઝોન કચેરીએ યોજવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ સ્તરે પેન્ડિંગ રહેલી ફાઈલો, આવનાર વર્ષના વિકાસ કાર્યો, આગામી બજેટ આયોજન તથા સ્વચ્છતા સર્વેક્ષણ માટેની તૈયારી અંગે વિગતવાર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. પેન્ડિગ ફાઇલોનો અઠવાડિયામાં ફરજિયાત નિકાલ કરવા કડક આદેશબેઠકમાં મ્યુ. કમિશ્નર દ્વારા વિવિધ વિભાગોમાં પેન્ડિંગ રહેલી ફાઈલોનો એક અઠવાડિયામાં ફરજિયાત નિકાલ કરવા કડક આદેશ આપવામાં આવ્યા છે. અને વહીવટી પારદર્શિતા માટે ફાઈલ ટ્રેકિંગ વ્યવસ્થા અને 48 કલાકમાં એક્શન પ્લાન રજૂ કરવા પણ સૂચના અપાઈ છે. સ્વચ્છ સર્વેક્ષણ 2026 ને ધ્યાનમાં રાખી મ્યુ. કમિશ્નર સુમેરાએ રાજકોટને અગ્રેસર બનાવવા પર ભાર મૂક્યો હતો. ગત વર્ષે 37મા ક્રમેથી 19મા ક્રમે પહોંચ્યા બાદ હવે ટોપ રેન્કિંગ મેળવવા માટે અધિકારીઓને દૈનિક 2 કલાક ફરજિયાત ફિલ્ડ વિઝિટ કરી GPS લોકેશન સાથે રિપોર્ટ સોંપવા જણાવ્યું છે. આ ઉપરાંત ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન અને શહેરમાં ‘વિઝીબલ ક્લીન્લીનેસ’ વધારવા માટે વોર્ડ ઓફિસર્સને નોડલ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. એટલું જ નહીં સ્વચ્છતાની જવાબદારી માત્ર સોલિડ વેસ્ટ વિભાગની નહીં પરંતુ તમામ વિભાગોની સામૂહિક જવાબદારી રહેશે તેવું સ્પષ્ટ જણાવ્યું હતું. જેને લઈને આગામી 2 દિવસમાં વિસ્તૃત ઓર્ડર જાહેર કરવામાં આવનાર છે. જેમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં રેન્કિંગ સુધરે તેના માટે સોલીડ વેસ્ટ સિવાયના વિભાગોને જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે.
ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી આજે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના ઉગ્ર સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠી હતી. અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં એકત્ર થયેલી મહિલાઓએ સરકારની નીતિઓ સામે વિરોધ પ્રદર્શન કરી વધુ એક વખત આવેદનપત્ર પાઠવ્યું હતું. મહિલાઓને પોતાના ખર્ચે ફોન ખરીદવાની ફરજ પાડવામાં આવીઆ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા વર્ષ 2022માં કરાર કરવામાં આવ્યો હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી આંગણવાડી બહેનોને મોબાઈલ ફોન આપવામાં આવ્યા નથી. બીજી તરફ તમામ કામગીરી ફરજિયાત ઓનલાઈન કરી દેવામાં આવી હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓને પોતાના ખર્ચે ફોન ખરીદવાની ફરજ પાડવામાં આવે છે. AVT એપ્લિકેશન અત્યંત ખામીયુક્તકર્મચારી સંઘે ગંભીર આક્ષેપ કર્યો છે કે, હાલમાં લોન્ચ થયેલી AVT એપ્લિકેશન અત્યંત ખામીયુક્ત છે અને નેટવર્કના અભાવે ડાઉનલોડ પણ થતી નથી. પૂરતી તાલીમ કે માર્ગદર્શન વગર આ એપમાં કામ સોંપવામાં આવે છે અને જો કામમાં સહેજ પણ ભૂલ થાય તો સીધી જ નોટિસ આપી પગાર કાપવાની જોહુકમીભરી કાર્યવાહી કરવામાં આવે છે. મહિલાઓ પર સતત કામનું ભારણવધુમાં એપ્લિકેશનમાં ફોટો પાડી અપલોડ ન કરાય તો ઓછું રાશન આપવાની અતાર્કિક વાતો કરી મહિલા કર્મચારીઓને માનસિક રીતે હતાશ કરવામાં આવી રહી છે. મહિલાઓએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે માત્ર રૂ. 10,000 અને રૂ. 5500 જેવા નજીવા વેતનમાં કામ કરતી મહિલાઓ પર સતત કામનું ભારણ વધારાઈ રહ્યું છે. મોબાઈલ ન મળે ત્યાં સુધી ઓનલાઈન કામ પર રોકહાઈકોર્ટના ચુકાદાનો અમલ કરી વેતન વધારવાને બદલે સરકાર માત્ર ઓનલાઈન કામગીરીમાં વધારો કરી રહી છે જે ખૂબ જ દુ:ખદ બાબત છે. અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના પ્રમુખ કિરણકુમાર એચ. કવિ દ્વારા રજૂ કરવામાં આવેલી માંગણીઓમાં વેતન વધારાનો તાત્કાલિક અમલ કરવો, મોબાઈલ ન મળે ત્યાં સુધી તમામ ઓનલાઈન કામગીરી પર રોક લગાવવી અને ફિલ્ડ અધિકારીઓ દ્વારા આપવામાં આવતી પગાર કાપની નોટિસો પર તત્કાલ પ્રતિબંધ મૂકવાની રજૂઆત કરવામાં આવી છે. આ આવેદનપત્રની નકલ મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી, સચિવ અને કમિશનરને પણ મોકલી આપવામાં આવી છે.
ચાંગા: ગુજરાતમાં શિક્ષણ, સંશોધન અને ઇનોવેશનના પર્યાય સમાન ચારુસેટ (CHARUSAT) કેમ્પસનો 26મો સ્થાપના દિન 28 જાન્યુઆરીના રોજ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્પેસ એપ્લીકેશન સેન્ટર (SAC/ISRO) ના ડિરેક્ટર અને જાણીતા સ્પેસ સાયન્ટીસ્ટ નિલેશ દેસાઈ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ચંદ્રયાન-3 અને નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ જેવા મહત્વપૂર્ણ મિશનમાં યોગદાન આપનાર નિલેશ દેસાઈએ શિક્ષણમાં ટેકનોલોજીની સાથે ગુરુ-શિષ્ય પરંપરાના મહત્વ પર ભાર મૂક્યો હતો. સંશોધકો અને શ્રેષ્ઠ કર્મચારીઓનું સન્માન સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે વિવિધ શ્રેણીઓમાં એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં 'રિસર્ચ એપ્રીશિએશન એવોર્ડ્સ', 'રિસર્ચ પ્રોજેક્ટ એવોર્ડ્સ' અને વિશ્વના ટોપ 2% સાયન્ટિસ્ટ્સમાં સ્થાન મેળવનારને 'રિસર્ચ એચીવમેન્ટ એવોર્ડ્સ' આપી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સંસ્થા સાથે 20 થી 25 વર્ષ સુધી જોડાયેલા સભ્યોને 'એન્ડ્યુરિંગ કમિટમેન્ટ એવોર્ડ્સ' અને 'એક્સેમ્પ્લરી ડેડીકેશન એમ્પ્લોય એવોર્ડ્સ' આપવામાં આવ્યા હતા. ખાસ કરીને, ગુજરાતમાં ડિજિટલ પેપરલેસ પરીક્ષા સિસ્ટમની પહેલ કરનાર પ્રોવોસ્ટ અતુલ પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત બનશે સેમી-કંડક્ટર હબ: નિલેશ દેસાઈ મુખ્ય અતિથિ નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત જ્યારે સેમી-કંડક્ટર હબ બનવા જઈ રહ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓ માટે સ્કીલ ડેવલપમેન્ટ અનિવાર્ય છે. તેમણે ચારુસેટની રિસર્ચ એક્ટિવિટીઝ અને સ્ટાર્ટ-અપ પ્રોત્સાહનની પ્રશંસા કરતા ઉમેર્યું કે, વિદ્યાર્થીઓએ સ્પેસ રિસર્ચ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવા વિચારો સાથે આગળ આવવું જોઈએ. વિકાસગાથા અને ભવિષ્યના લક્ષ્યો ચારુસેટ અને કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્ર પટેલે સંસ્થાના પાયામાં રહેલા છોટાકાકા, ડો. કે. સી. કાકા અને દેશ-વિદેશના દાતાઓના યોગદાનને યાદ કર્યું હતું. તેમણે જણાવ્યું કે 26 વર્ષના ટૂંકા ગાળામાં ચારુસેટે વૈશ્વિક સ્તરે નામના મેળવી છે, પરંતુ હજુ પણ સફળતાના નવા શિખરો સર કરવાના બાકી છે. આ પ્રસંગે CHRF ના પ્રમુખ વિપુલભાઈ પટેલ, માનદ્ મંત્રી ડો. એમ. સી. પટેલ, દેવાંગભાઈ પટેલ ઈપ્કોવાળા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજય મકવાણા અને જયશ્રી મહેતાએ કર્યું હતું, જ્યારે આભારવિધિ ડો. અનિલ શર્મા દ્વારા કરવામાં આવી હતી. ચારુસેટની ગૌરવશાળી સિદ્ધિઓ વર્ષ 2000માં ચરોતર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી તરીકે શરૂ થયેલું આ કેમ્પસ આજે 125 એકરમાં ફેલાયેલું છે. જેમાં 7 ફેકલ્ટી અને 10 ઇન્સ્ટિટ્યૂટ હેઠળ 11,000 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સંસ્થાએ NAAC દ્વારા A+ ગ્રેડ અને ગુજરાત સરકાર દ્વારા 'સેન્ટર ઓફ એક્સલન્સ' નો દરજ્જો પ્રાપ્ત કર્યો છે.
STEM ક્વિઝમાં વિજેતા વિદ્યાર્થીઓને NFSU અને ISROની મુલાકાતની મળશે તક ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા આયોજિત ભારતની સૌથી મોટી નેશનલ STEM Quiz 4.0 ના ઝોનલ લેવલના રાઉન્ડનું સફળ આયોજન ભાવનગરના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું, 29 અને 30 જાન્યુઆરી દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં ભાવનગર સહિત પાંચ જિલ્લાના 400થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વૈજ્ઞાનિક અભિગમને વેગ આપતું પ્લેટફોર્મSTEM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ) શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આયોજિત આ ક્વિઝના પ્રારંભિક રાઉન્ડમાં દેશભરમાંથી અંદાજે 15 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પ્રાથમિક રાઉન્ડના વિજેતા બનેલા ભાવનગર, બોટાદ, અમરેલી, ગીરસોમનાથ અને આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓએ આ ઝોનલ સ્પર્ધામાં પોતાની પ્રતિભા બતાવી હતી, મુખ્ય અતિથિઓની ઉપસ્થિતિ અને માર્ગદર્શનકાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાવનગર (પૂર્વ)ના ધારાસભ્ય સેજલબેન પંડયા અને શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજના આચાર્ય જી.પી.વડોદરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, STEM શિક્ષણ ભવિષ્યની કારકિર્દી માટે નવા દરવાજા ખોલે છે ગુજરાત સરકારના આવા પ્રોગ્રામથી રાજ્યના બાળકોને નવું પ્લેટફોર્મ અને નવી તક મળી રહી છે, 29 જાન્યુઆરીએ જુનિયર અને 30 જાન્યુઆરીએ સિનિયર કેટેગરીની સ્પર્ધા યોજાઈ હતી, ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા, દરેક તાલુકામાંથી ટોપ-20 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે, જેઓ હવે ગુજરાત સાયન્સ સિટી ખાતે નેશનલ લેવલમાં ભાગ લેશે, પસંદગી પામેલા વિદ્યાર્થીઓને માત્ર સ્પર્ધા જ નહીં, પરંતુ જ્ઞાનના નવા ક્ષિતિજો સર કરવાનો પણ મોકો મળશે., નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે બૂટ કેમ્પ માં ભાગ લેવાની તક મળશે, BARC, DRDO, ઇસરો (SAC) અને સાયન્સ સિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓની મુલાકાતનો લ્હાવો મળશે, રિજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર તેના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.ગિરીશ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાનના પ્રચાર-પ્રસારમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે, 5 થીમ બેઝ ગેલેરીઓ અને સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ દ્વારા આ સેન્ટર વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા વૃત્તિ જગાડવાનું કામ કરી રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકાની વર્તમાન ટર્મના અંતિમ સામાન્ય સભા આજે યોજાઈ હતી. આ સભામાં વિપક્ષ દ્વારા શહેરના વિકાસના અધૂરા કામો, સ્વચ્છતાની જાળવણી અને બગીચાઓની ખરાબ સ્થિતિ અંગે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. વિપક્ષે ખાસ કરીને શહેરની સ્વચ્છતાના મુદ્દે આક્રમક રજૂઆત કરી હતી. આ ઉપરાંત, શહેરમાં વૃક્ષોની જાળવણી કરતી એજન્સીને પણ નોટિસ ફટકારવામાં આવી હતી. શહેરીજનો માટે બનાવવામાં આવેલા બગીચાઓની સ્થિતિ અંગે પણ વિપક્ષે આક્ષેપો કર્યા હતા. લાખો રૂપિયાના ખર્ચ છતાં બગીચાઓમાં બાળકો માટેના સાધનો તૂટેલી હાલતમાં હોવાનું જણાવાયું હતું. સભામાં ઉગ્ર ચર્ચાઓ અને રજૂઆતો વચ્ચે, ભાજપ શાસિત પ્રમુખે બહુમતીના જોરે વિવિધ ઠરાવોને બહાલી આપી હતી. પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે, આ સામાન્ય સભામાં ઘણા વિકાસના કામોને બોર્ડમાં લેવામાં આવ્યા હતા અને સભા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. તેમણે ઉમેર્યું હતું કે, ભૂગર્ભ ગટર, સેનિટેશન, બાંધકામ અને ટ્રાન્સપોર્ટ શાખા સહિતના વિવિધ વિભાગોના વિકાસના કામોને આજે બહાલી આપવામાં આવી છે. સ્વચ્છતા અંગે પ્રમુખે કહ્યું કે, એજન્સી અને નગરપાલિકાના સ્ટાફ દ્વારા સફાઈ કરવામાં આવે છે, ડોર-ટુ-ડોર કચરા કલેક્શન પણ થાય છે. ગામ સ્વચ્છ રહે તે માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો છે, પરંતુ લોકોમાં જાગૃતિ ન આવે ત્યાં સુધી ગંદકી રહેશે. તેમણે લોકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા વિનંતી કરી હતી. વૃક્ષારોપણ અંગે તેમણે સ્વીકાર્યું કે, 2000 વૃક્ષો વાવવામાં આવ્યા હતા, પરંતુ તેની યોગ્ય કાળજી લેવામાં આવી નથી, જેને કારણે એજન્સીને નોટિસ આપવાનો નિર્ણય લેવાયો છે.
ગીર સોમનાથમાં 'સેવાસેતુ 2.0' બેઠક યોજાઈ:ક્લસ્ટર વાઇઝ નાગરિકોને ઘરઆંગણે મળશે વિવિધ સરકારી સેવાઓ
ગીર સોમનાથ જિલ્લામાં 'સેવાસેતુ 2.0' કાર્યક્રમની તૈયારીઓ માટે કલેકટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય નાગરિકોને ઘરઆંગણે જ વહીવટી સેવાઓનો લાભ આપવાનો છે. વેરાવળ પ્રાંત કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેક્ટરે આધાર કાર્ડ, પી.એમ.જે.વાય. અને રેશન કાર્ડ સહિતની અરજીઓનો સ્થળ પર જ ઝડપી અને હકારાત્મક નિકાલ કરવા સૂચના આપી હતી. તેમણે ઉપસ્થિત અધિકારીઓને વધુને વધુ લોકો આ કાર્યક્રમનો લાભ લે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. 'સેવાસેતુ 2.0' અંતર્ગત નગરપાલિકા કક્ષા, શહેરી અને ગ્રામીણ વિસ્તારોને આવરી લેવામાં આવશે. નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલેએ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું કે, પ્રથમ તબક્કો 28 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં વિવિધ સેવાઓના ડોક્યુમેન્ટેશન પર ધ્યાન કેન્દ્રિત કરાશે. બીજો તબક્કો 07 માર્ચથી શરૂ થશે, જેમાં ક્લસ્ટર વાઇઝ કાર્યક્રમો યોજાશે. આ સેવાસેતુ કાર્યક્રમ હેઠળ નાગરિકોને જન્મ-મરણના પ્રમાણપત્ર, આધારકાર્ડ સુધારા, દિવ્યાંગતા પ્રમાણપત્ર, હેલ્થ વેલનેસ કાર્ડ, રેશન કાર્ડમાં નામ ઉમેરવા-કમી કરવા કે સુધારા કરવા, આધાર નોંધણી, નાના બાળકોના આધાર કાર્ડ, જાતિના પ્રમાણપત્ર, આવકના દાખલા, કુંવરબાઈનું મામેરું યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગ સહાય યોજના તેમજ નમોશ્રી યોજના જેવી અનેક સેવાઓનો લાભ મળશે. આ બેઠકમાં પ્રાંત અધિકારી વિનોદ જોશી સહિત ખેતીવાડી, આરોગ્ય, નગરપાલિકા, રોજગાર, ફિશરીઝ જેવા વિવિધ વિભાગોના જિલ્લા અને તાલુકા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગોધરાના સિગ્નલ ફળીયા રોડ પર ભૂગર્ભ ગટર ઉભરાઈ:ગંદા પાણીના રેલાથી રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન
ગોધરા શહેરના સિગ્નલ ફળીયા રોડ પર ભૂગર્ભ ગટર ઉભરાઈ છે. સરકારી ઘાસ ગોડાઉન નજીક ગટર લાઇન ચોકઅપ થતાં ગંદુ પાણી મુખ્ય રોડ પર ફરી વળ્યું છે, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના આ વ્યસ્ત માર્ગ પર ગટરના પાણી ઉભરાઈને રોડ પર વહેતા જોવા મળી રહ્યા છે. ભૂગર્ભ ગટરની લાઇન ચોકઅપ થવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ગંદકી ફેલાઈ છે. ગંદા પાણી ભરાઈ રહેવાથી રાહદારીઓને તેમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. વાહનચાલકોને પણ ગંદા પાણીના કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, કારણ કે રોડ પર લપસણો કાદવ જમા થઈ રહ્યો છે. આનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ ભય સેવાઈ રહ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા સમક્ષ સત્વરે આ ભૂગર્ભ ગટરની સફાઈ કરવા અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે માંગ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ સમસ્યાનો તાત્કાલિક નિરાકરણ જરૂરી છે. ગોધરા નગરપાલિકા પ્રમુખ જયેશભાઈ ચોહાણે આ અંગે જણાવ્યું હતું કે, રોયલ હોટલથી ગરનાળા સુધીની ભૂગર્ભ ગટરની સમસ્યા અંગે આજે ફરિયાદ મળી છે. ફરિયાદના આધારે તાત્કાલિક અધિકારીઓને મોકલીને તપાસ કરાવતા, પ્રાથમિક દ્રષ્ટિએ ગટર લાઇન અંદરથી તૂટેલી હોવાનું જણાયું છે. પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, હાલ પૂરતી રાહત મળે તે માટે સૂચનાઓ અપાઈ છે. તૂટેલી લાઇનને તાત્કાલિક મંજૂર કરીને નવીન કામ શરૂ કરવા અને 'મિસિંગ લાઈનો'ની ચાલી રહેલી કામગીરીમાં આ કામને પ્રાથમિકતા આપવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદ જિલ્લાના ભાદરણ ગામેથી રાજ્યવ્યાપી ‘ગ્રામોત્થાન યોજના’નો પ્રારંભ કર્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ સ્તરે માળખાગત સુવિધાઓને સુદ્રઢ બનાવવાનો અને છેવાડાના માનવી સુધી વહીવટી સેવાઓ સરળતાથી પહોંચાડવાનો છે. આ પ્રસંગે સમગ્ર રાજ્યમાં કુલ 2666 નવીન ગ્રામ પંચાયત ભવનોના ખાતમૂહૂર્ત કરવામાં આવ્યા હતા. આ યોજનાના ભાગરૂપે, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. અહીં 133 ગ્રામ પંચાયત ભવનોનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું, જે જિલ્લાના ગ્રામીણ વિકાસમાં એક નવો અધ્યાય શરૂ કરશે. ગુજરાત સરકાર 'ગામડું બેઠું થશે તો દેશ બેઠો થશે'ના મંત્રને વરેલી છે. આ નવતર ગ્રામોત્થાન યોજના માત્ર ભવન નિર્માણ પૂરતી સીમિત નથી, પરંતુ તે ગ્રામીણ અર્થતંત્રને ગતિશીલ બનાવવાનું એક સબળ માધ્યમ બનશે. નવા બનનારા આ પંચાયત ભવનો અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. આ ભવનોના નિર્માણથી ગ્રામજનોને આવકના દાખલા, રેશનકાર્ડની કામગીરી કે અન્ય સરકારી યોજનાઓના લાભો લેવા માટે હવે દૂર સુધી જવું નહીં પડે. આ આધુનિક ભવનો ગ્રામીણ સ્તરે વહીવટી પારદર્શિતા અને કાર્યક્ષમતામાં વધારો કરશે, જેનાથી 'ડિજિટલ ગુજરાત'નું સપનું સાકાર થશે. સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓમાં આ પ્રોજેક્ટ હેઠળ વિકાસની નવી લહેર જોવા મળશે. રાજ્ય સરકાર ગામડાઓને શહેરો જેવી સુવિધા આપવા કટિબદ્ધ છે. ગ્રામોત્થાન યોજના થકી ગામડાઓમાં રોજગારીની તકો ઊભી થશે અને સ્થાનિક કક્ષાએ માળખાગત સુવિધાઓ જેવી કે રસ્તા, ગટર અને પીવાના પાણીની વ્યવસ્થાઓમાં નોંધપાત્ર સુધારો થશે. આ યોજના સામાજિક અને આર્થિક ઉત્થાનનો મજબૂત પાયો નાખશે, જે લાંબાગાળે રાજ્યના સર્વાંગી વિકાસમાં મહત્વનું પ્રદાન કરશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને પી.કે. પરમાર સહિતના મહાનુભાવોએ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિક, ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ. જલંધરા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ, તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણના 1281માં સ્થાપના દિવસની ઉજવણી માટે બેઠક:8 ફેબ્રુઆરીએ શોભાયાત્રા, વનરાજ ચાવડાની પ્રતિમાની માંગ
પાટણના 1281માં સ્થાપના દિવસની ઉજવણી માટે નગરપાલિકાના સભાખંડમાં એક બેઠક યોજાઈ હતી. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં શહેરના વિવિધ સમાજ અને સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી 8 ફેબ્રુઆરીના રોજ થનારી ભવ્ય ઉજવણીને સફળ બનાવવા માટે જરૂરી સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. વિક્રમ સંવત 802ના મહાવદ સાતમના દિવસે રાજા વનરાજ ચાવડા દ્વારા અણહિલવાડ પાટણની સ્થાપના કરવામાં આવી હતી. આ ગૌરવશાળી ઇતિહાસને જીવંત રાખવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટણ નગરપાલિકા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને અન્ય સંસ્થાઓના સહયોગથી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. શુક્રવારે યોજાયેલી બેઠકમાં રાજપૂત સમાજના આગેવાનો દ્વારા શહેરમાં રાજા વનરાજ ચાવડાની પ્રતિમા સ્થાપિત કરવાની માંગ કરવામાં આવી હતી. આ માંગના પ્રત્યુત્તરમાં આગેવાન મનોજ પટેલે જણાવ્યું હતું કે, જો પ્રતિમા માટે યોગ્ય જગ્યા બતાવવામાં આવે તો આગામી બોર્ડ મીટિંગમાં આ પ્રસ્તાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવશે. પાલિકા પ્રમુખે તમામ કોર્પોરેટરોને આ બાબતે જાણ કરી જરૂરી સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી આપી હતી. ઉજવણીના ભાગરૂપે, આગામી 8 ફેબ્રુઆરીના રોજ બપોરે 3:00 વાગ્યે નગરદેવી કાલિકા માતાના મંદિરથી પરંપરાગત ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરશે. આ શોભાયાત્રા બગવાડા દરવાજે પૂર્ણ થશે. કરણી સેનાના યુવાનો ડ્રેસ અને વિવિધ ટેબ્લો સાથે જોડાશે, જેમાં 51 યુવાનો રાજપુતાના પોશાકમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. શોભાયાત્રાના સમાપન બાદ બગવાડા દરવાજે ઇતિહાસને ઉજાગર કરતા પ્રવચનો, વિવિધ સિદ્દી ધમાલ, મેવાસી નૃત્યો અને રમત-ગમત વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, 7 અને 8 ફેબ્રુઆરીના રોજ રાણકીવાવ મહોત્સવ અંતર્ગત નામાંકિત કલાકારોના કાર્યક્રમો પણ યોજાશે. આ બેઠકમાં પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, કન્વીનર યતીન ગાંધી, મહિપતસિંહ જાડેજા, મદારસિંહ ગોહિલ, મનોજ પટેલ, જયેશ પટેલ સહિત રાજપૂત સમાજના આગેવાનો અને નગરસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના આયોજકો દ્વારા પાટણના તમામ નગરજનોને આ ઐતિહાસિક સ્થાપના દિવસની ઉજવણીમાં જોડાઈને શહેરના ગૌરવશાળી ઇતિહાસને ઉજાગર કરવા અપીલ કરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ઉમરેઠી ગામે રામજી મંદિર ખાતે જિલ્લા કક્ષાનો 'મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મૂછારની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઉમરેઠી ખાતે ગ્રામ પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના હેઠળ ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કુલ 19 ગ્રામ પંચાયત ઘર-કમ-તલાટી-કમ-મંત્રી આવાસોના ખાતમુહૂર્ત પણ કરાયા હતા. રામજી મંદિર ખાતેથી વેરાવળ, સૂત્રાપાડા, તાલાલા, કોડીનાર અને ગીરગઢડા તાલુકાના કુલ 19 ગામોમાં ગ્રામ પંચાયત ઘર-કમ-તલાટી-કમ-મંત્રી આવાસોના ખાતમુહૂર્ત કરાયા હતા. આ ગામોમાં હસ્નાવદર, લૂંભા, સોનારિયા, દેદા, આણંદપરા, કણજોતર, વાવડીસુત્રા, ખાંભા, નવાગામ, ભૂવાટીંબી, થોરડી, રાયડી, જાવંત્રી, ઉમરેઠી, સેમરવાવ, જિથલા, ભિયા, મહોબતપરા અને પાણખાણનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ભાદરણ ખાતેથી રાજ્યભરની 2,666 ગ્રામ પંચાયતોનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે 114 ગામોમાં મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો શુભારંભ પણ કરાયો હતો. ઉમરેઠી ખાતે ઉપસ્થિત ગ્રામજનોએ આ રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશીએ મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને વધુ સારી આર્થિક તકો પૂરી પાડવાનો છે. આ યોજના દ્વારા ગામડાઓમાં શહેરો જેવી આધુનિક માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય છે. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોક પટેલ, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ના કાર્યપાલક ઇજનેર જે. આર. સિતાપરા, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા, ઉમરેઠી ગ્રામ પંચાયતના સરપંચ જયદીપભાઈ જોટવા, ગોવિંદભાઈ બારડ, તાલુકા વિકાસ અધિકારી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી કલેક્ટર કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને સરકારી શાળાની તેજસ્વી દીકરીઓને એજ્યુકેશન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના હેઠળ દીકરીઓના શિક્ષણને વેગ આપવા અને સમાજમાં તેમના પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત કરાયો હતો. માર્ચ-2025માં લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં પોતાની શાળા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે આ કીટનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન, દીકરીઓ ઉચ્ચ શિક્ષણ તરફ વધુ ઉત્સાહ સાથે આગળ વધે તે હેતુથી કલેક્ટરના હસ્તે પ્રતીકાત્મક રૂપે પાંચ દીકરીઓને એજ્યુકેશન કીટ અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે ઉપસ્થિત દીકરીઓને પ્રોત્સાહિત કરતા કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ દીકરીઓના સશક્તિકરણનું સૌથી મોટું શસ્ત્ર છે. દીકરીઓ માત્ર ભણે એટલું જ નહીં, પરંતુ શિક્ષણ પ્રાપ્ત કરી આત્મનિર્ભર બને અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પોતાનું યોગદાન આપે તે અત્યંત અનિવાર્ય છે. તેમણે તમામ દીકરીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એન. એસ. ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી. કે. શ્રીવાસ્તવ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી અને જિલ્લા રોજગાર અધિકારી મનિશાબેન સાવનિયા સહિતના અધિકારીઓ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સગીરાના લગ્ન કરાવનાર 9 સામે ગુનો નોંધાયો:ઘોઘંબા મસ્જિદ ટ્રસ્ટી સહિત રાજગઢ પોલીસે કાર્યવાહી કરી
રાજગઢ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં બાળ લગ્નનો એક કિસ્સો સામે આવ્યો છે. જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની તપાસ બાદ ઘોઘંબા વિસ્તારની મસ્જિદના ટ્રસ્ટી સહિત કુલ 9 લોકો સામે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સગીરાની ઉંમર 17 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને એક સગીરાના લગ્ન થઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર દસ્તાવેજો અને પુરાવાની ચકાસણી કરતા સગીરાની ઉંમર 17 વર્ષ, 1 માસ અને 3 દિવસ હોવાનું સામે આવ્યું હતું. કાયદેસરની લગ્નની વય મર્યાદા 18 વર્ષ પૂર્ણ થવામાં હજુ 11 મહિના બાકી હતા. જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ફરિયાદના આધારે રાજગઢ પોલીસે કાર્યવાહી કરી છે. સગીરાના નિર્ધારિત વય પહેલાં લગ્ન કરાવવા અને તેમાં સહભાગી થવા બદલ ઘોઘંબા વિસ્તારની મસ્જિદના ટ્રસ્ટી, તેમજ વર અને કન્યા પક્ષના મળી કુલ 9 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે 'બાળ લગ્ન પ્રતિબંધક એક્ટ' હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમાજ સુરક્ષા વિભાગના અધિકારીએ જણાવ્યું કે બાળ લગ્ન એ સામાજિક દૂષણ હોવા ઉપરાંત કાયદેસરનો ગુનો પણ છે. દીકરીની ઉંમર 18 વર્ષ અને દીકરાની ઉંમર 21 વર્ષથી ઓછી હોય તો લગ્ન કરાવનાર અને તેમાં સામેલ કસૂરવાર લોકો સામે બે વર્ષની સજા તેમજ ₹1 લાખ દંડની જોગવાઈ છે.
મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં મહિલા સેલ દ્વારા વિદ્યાર્થીનીઓ માટે સ્વરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં 'કરાટે એસોસિએશન ગિર સોમનાથ' અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કરાટે એસોસિએશન ગિર સોમનાથના મયુરભાઈ પિપરોતરે વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણની વિવિધ ટેક્નિકો શીખવી હતી. તેમણે મુશ્કેલીભરી પરિસ્થિતિઓમાં પોતાનો બચાવ કેવી રીતે કરવો તે અંગેની વિસ્તૃત જાણકારી અને પ્રેક્ટિકલ તાલીમ પૂરી પાડી હતી. બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મહિલા સુરક્ષા સેતુના ડીઆઇ લાભુબેન મોરીએ પણ વિદ્યાર્થીનીઓને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન આચાર્ય ડૉ. રામભાઈ વારોતરીયાના સહયોગથી કરવામાં આવ્યું હતું, જ્યારે મહિલા સેલના કો-ઓર્ડીનેટર ડૉ. કવિતાબા ઝાલાએ સંચાલન કર્યું હતું.
અમરેલી જિલ્લાની બે મહિલા પોલીસકર્મીઓએ ડી.જી.પી. કપ પ્રથમ શૂટિંગ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ 2025-2026માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને જિલ્લા અને ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં તેમણે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ચેતનાબેન બારડે પિસ્ટલ સ્પર્ધામાં નોંધપાત્ર કુશળતા દર્શાવી હતી. તેમણે 25 મીટર પિસ્ટલ સ્પર્ધામાં સિલ્વર મેડલ અને 10 મીટર પિસ્ટલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવીને બેવડી સિદ્ધિ હાંસલ કરી છે. આ ઉપરાંત, પ્રિયંકાબેન રામપ્રસાદીનાએ 10 મીટર રાયફલ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેમના ચોક્કસ નિશાન અને ધૈર્યપૂર્ણ રમત દ્વારા તેમણે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો. આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ અમરેલીના SP સંજય ખરાત દ્વારા બંને મહિલા પોલીસ કર્મચારીઓને જિલ્લા પોલીસ તંત્ર અને સહકર્મીઓ વતી હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. તેમની આ સફળતા માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર પોલીસ વિભાગ માટે ગૌરવની બાબત છે. આ સિદ્ધિ અન્ય મહિલા પોલીસ કર્મચારીઓ તથા યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે, અને ભવિષ્યમાં વધુ પ્રતિભાઓ રમતગમત ક્ષેત્રે આગળ આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
પંચમહાલમાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ગુનાખોરી પર અંકુશ:600થી વધુ CCTV કેમેરાથી કાયદો વ્યવસ્થા મજબૂત બની
પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા તથા ગુનાખોરી નિયંત્રિત કરવા 'વિશ્વાસ પ્રોજેક્ટ' હેઠળ મહત્વના પગલાં લેવાયા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લામાં 600થી વધુ સીસીટીવી કેમેરા સ્થાપિત કરાયા છે. આ પ્રોજેક્ટ બે તબક્કામાં અમલમાં મૂકવામાં આવ્યો છે. ગોધરા, કાલોલ, હાલોલ અને સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ સહિત કુલ 73 સ્થળોએ આધુનિક સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ કેમેરાનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવાનો, ગુનાખોરી અટકાવવાનો અને શાંતિ જાળવવાનો છે. ખાસ કરીને પાવાગઢ યાત્રાધામમાં શ્રદ્ધાળુઓની અવરજવર વધુ હોવાથી, શંકાસ્પદ ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવે છે. સ્થાપિત તમામ સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ ગોધરા સ્થિત પોલીસ અધિક્ષકની કચેરીના અદ્યતન કંટ્રોલ રૂમમાંથી થાય છે. સ્થાનિક સ્તરે પણ કેમેરાની દેખરેખ રાખવામાં આવે છે, જેથી કોઈપણ ઘટના સમયે તાત્કાલિક કાર્યવાહી શક્ય બને છે. 'વિશ્વાસ પ્રોજેક્ટ' હેઠળ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. વાહનચોરી, ઘરફોડ ચોરી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોને ઝડપી પાડવામાં પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે. શરીર સંબંધી ગુનાઓ ઉકેલવામાં પણ આ કેમેરા અસરકારક સાબિત થયા છે. છેલ્લા ચાર મહિનામાં જિલ્લામાં એક પણ સ્નેચિંગની ઘટના નોંધાઈ નથી, જેનો શ્રેય મોટાભાગે આ પ્રોજેક્ટને જાય છે. આ પહેલથી જિલ્લાવાસીઓમાં સલામતીની ભાવના મજબૂત બની છે અને પોલીસ તંત્રની કાર્યક્ષમતામાં પણ વધારો થયો છે.
અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા ભૈરવનાથ પરોઠા હાઉસમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ચાર ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 15થી 20 મિનિટમાં પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લઈ લેવામાં આવી હતી. આગ લાગી ત્યારે બુઝાવવાના પ્રયત્ન દરમિયાન એક વ્યક્તિ દાઝી ગયો હતો, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવામાં આવી હતીમળતી માહિતી મુજબ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં ભૈરવનાથ પરોઠા હાઉસ આવેલું છે. જેમાં બપોરના સમયે આગ લાગવાની ઘટના બની હતી. પરોઠા હાઉસ ભોજનાલયમાં ગેસનો બાટલો લીકેજ થયો હતો, જેમાંથી આગ લાગવાની ઘટના બનતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી, નવરંગપુરા ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લઈ લેવામાં આવી હતી. ગેસના બાટલાઓ હોવાના કારણે આગ વધુ ન ફેલાય તેના માટે કામગીરી ઝડપી કરવામાં આવી હતી. જમવાનું બનાવતા હતા ત્યારે આગ ભભૂકી હતીઆગ લાગવાની ઘટના બની હતી ત્યારે છગનભાઈ નામના એક વ્યક્તિ હાજર હતા, તેઓએ ગેસ લીકેજથી આગ લાગતા બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. કામગીરી કરવા જતા તેઓ દાઝી ગયા હતા, જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરોઠા હાઉસમાં કોમર્શિયલ બાટલાઓનો ઉપયોગ કરી જમવાનું બનાવવાનું બનાવવામાં આવતું હતું, તે દરમિયાનમાં આગ લાગવાની ઘટના બની હતી.
અમરેલીમાં બાઇક અકસ્માત:2ના મોત, 3 ઇજાગ્રસ્ત; ધારી-બગસરા રોડ પરની ઘટના
અમરેલી જિલ્લામાં ધારી-બગસરા રોડ પર હામાપુર ગામ નજીક બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણ અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મૃતકોની ઓળખ પ્રવીણભાઈ વલ્લભદાસ અને દીનુભાઈ બ્લોચ તરીકે થઈ છે. તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને પણ વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ ધારી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસ હાથ ધરી છે અને પંચનામાની કાર્યવાહી કરી હતી. પોલીસે ઇજાગ્રસ્તોના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરી છે અને અકસ્માતનો ગુનો નોંધવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં અકસ્માતોની ઘટનાઓ સતત સામે આવી રહી છે, જેને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.
ભરૂચ જિલ્લાના દયાદરા ગામની સરકારી પ્રાથમિક શાળાનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. અભ્યાસ કરતા નિર્દોષ બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લાના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. એક જાગૃત નાગરિકે આ વીડિયો ઉતાર્યો હતો. વાઈરલ વીડિયોમાં વિદ્યાર્થીઓ શાળા પરિસરમાં સિમેન્ટ-કોંક્રિટનો માલ બનાવતા સ્પષ્ટપણે નજરે પડે છે, જે શિક્ષણના અધિકાર અને બાળમજૂરી પ્રતિબંધિત કાયદાના ઉલ્લંઘન તરફ આંગળી ચીંધે છે. જાગૃત નાગરિકે પોલ ખોલીમળતી વિગતો અનુસાર, શાળામાં ચાલી રહેલા વિકાસ કામો અથવા અન્ય કોઈ પ્રવૃત્તિ માટે બાળકોનો મજૂર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે. એક જાગૃત નાગરિકે આ સમગ્ર દ્રશ્યો મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યા હતા. આ વીડિયો સામે આવતા જ વાલીઓ અને શિક્ષણપ્રેમીઓમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે. આક્ષેપ છે કે રજૂઆત કરવા છતાં સંબંધિત શિક્ષકો પોતાની ભૂલ સ્વીકારવાને બદલે લૂલો બચાવ કરી રહ્યા છે. તપાસ બાદ કડક કાર્યવાહીની ખાતરીઆ ગંભીર મામલે ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારી સચિન શાહે જણાવ્યું હતું કે, દયાદરા ગામની શાળાનો વીડિયો ધ્યાન પર આવ્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક તપાસ ટીમની રચના કરવામાં આવી છે. જો તપાસમાં બાળકો પાસે મજૂરી કરાવવાનો આક્ષેપ સાચો ઠરશે, તો જવાબદારો સામે નિયમ મુજબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. હાલ પ્રાથમિક પૂછપરછમાં બાળકોએ પોતાની જાતે કામ કર્યું હોવાનું રટણ કર્યું છે, પરંતુ વિભાગ બાળકોના હિત અને સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરશે નહીં. સ્થાનિકોમાં ભારે આક્રોશહાલ શિક્ષણ વિભાગની ટીમ દ્વારા સ્થળ તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, સ્થાનિકો અને વાલીઓ માગ કરી રહ્યા છે કે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે, જેથી અન્ય શાળાઓમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.
શુક્રવારે ઓસ્ટ્રેલિયન ઓપન U-14 ટાઇટલ જીતીને જૂનાગઢની દીકરીએ સમગ્ર ભારતનું નામ રોશન કર્યું છે. તે આ ટાઇટલ જીતનાર પહેલી ભારતીય પ્લેયર બની છે. 14 વર્ષની આ ખેલાડીએ ફાઈનલમાં ખૂબ જ દૃઢ નિશ્ચય દર્શાવ્યો, ઓસ્ટ્રેલિયાની જ મુસેમ્મા સિલેકને 3-6, 6-4, 6-1થી હરાવીને ખિતાબ જીત્યો. શરૂઆતનો સેટ હાર્યા પછી જેન્સીએ લય શોધીઅગાઉ, શરૂઆતનો સેટ ગુમાવ્યા પછી અને બીજા સેટમાં 0-2થી પાછળ રહી ગયા પછી, જેન્સી શાંત રહી અને હાર ન માની. તેણે ધીમે ધીમે પોતાની લય શોધી, વધુ આત્મવિશ્વાસ સાથે રમી અને પ્રભાવશાળી કમબેક કરીને જીત મેળવવા માટે મેચને સંપૂર્ણપણે ફેરવી દીધી. જેન્સી કાનાબારે 2026 ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા-પેસિફિક એલીટ 14 અને અંડર ટ્રોફીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું, મેલબોર્ન પાર્ક ખાતે રાઉન્ડ-રોબિન સ્ટેજ પર પ્રભુત્વ મેળવ્યું. તેણે તેની બધી મેચ સીધા સેટમાં જીતીને ગ્રુપ-Aમાં 3-0ના સંપૂર્ણ રેકોર્ડ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. ઐતિહાસિક અભિયાન રહ્યુંનોકઆઉટ રાઉન્ડમાં જેન્સીનો કોન્ફિડન્સ વધતો ગયો. જાપાનની આઓઈ યોશિદા વિરુદ્ધ સેમીફાઈનલમાં જેન્સીએ ટુર્નામેન્ટનું પોતાનું સૌથી શાંત પ્રદર્શન કર્યું. પહેલા સેટનો ટાઈબ્રેકર 7-6(3) થી જીત્યો અને પછી મેચ 6-2 થી જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી. ત્યારબાદ તેણે સિલેક વિરુદ્ધ શાનદાર વાપસી કરીને ઐતિહાસિક ખિતાબ સાથે પોતાનું અભિયાન પૂર્ણ કર્યું. જેન્સી કાનાબાર કોણ છે?જેન્સી કાનાબાર ભારતની સૌથી પ્રતિભાશાળી યુવા ટેનિસ ખેલાડીઓમાંથી એક છે અને તે જુનિયર રેન્કિંગમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. તે જૂનાગઢની વતની છે અને તેણે નાની ઉંમરથી જ ટ્રેનિંગ લેવાની શરૂઆત કરી દીધી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં, તેણે જુનિયર સર્કિટ પર તેની મજબૂત નિષ્ઠા અને સતત સુધારાનું શાનદાર પ્રદર્શન કર્યું છે. વુમન્સ સિંગલ્સ રેન્કિંગમાં પણ જગ્યા બનાવીજેન્સીની સફળતા તેના રેન્કિંગમાં પણ પ્રતિબિંબિત થાય છે, જેમાં તેણે AITA ગર્લ્સ અંડર-14 અને અંડર-16 બંને કેટેગરીમાં નંબર-1નું સ્થાન મેળવ્યું છે. વર્ષ 2026ની શરૂઆત સુધીમાં, તેણે AITA વુમન્સ સિંગલ્સ રેન્કિંગમાં પણ પોતાની જગ્યા બનાવી લીધી હતી. જુનિયર ઇવેન્ટ્સ ઉપરાંત, જેન્સીએ સિનિયર લેવલ પર પણ પ્રભાવ પાડ્યો છે. માત્ર 14 વર્ષની વયે, તેણે ITF વુમન્સ સર્કિટ પર ડેબ્યૂ કર્યું અને સ્ટ્રેટ-સેટમાં જીત મેળવીને W15 ટૂર્નામેન્ટના મેઈન ડ્રો માટે ક્વોલિફાય કર્યું. મેદાન પર તેની શિસ્ત, એકાગ્રતા અને મજબૂત માનસિકતા તેને ભારતીય ટેનિસની સૌથી તેજસ્વી યુવા આશાઓમાંની એક તરીકે સ્થાપિત કરી છે.
સંખેડાના ભાટપુરમાં રૂ. 5.25 લાખનો વિદેશી દારૂ પકડાયો:પોલીસે સંદીપ તડવીની ધરપકડ કરી, 2078 બોટલ જપ્ત
છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ભાટપુર ગામમાં એક બંધ મકાનમાંથી રૂ. 5,25,616/- નો વિદેશી દારૂ ઝડપાયો છે. સંખેડા પોલીસે આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સંખેડા પી.આઇ. ભરત ચૌહાણને બાતમી મળી હતી કે ભાટપુર ગામના વડ ફળિયામાં આવેલા સંદીપભાઈ ઉર્ફે ભયલુ નાનજીભાઈ તડવીના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે. આ બાતમીના આધારે પોલીસે એક ટીમ બનાવી દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂની કુલ 2078 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 5,25,616/- આંકવામાં આવી છે. પોલીસે દારૂ સહિત કુલ રૂ. 5,30,616/- નો મુદ્દામાલ જપ્ત કરી સંદીપભાઈ ઉર્ફે ભયલુ નાનજીભાઈ તડવીની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટા ઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી અહીં વિદેશી દારૂની હેરાફેરીના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવવા સતત કાર્યરત છે. સંખેડા પોલીસે ફરી એકવાર દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહીદ દિનની ઉજવણી:દેશના અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
જામનગર જિલ્લામાં 30 જાન્યુઆરીના રોજ 'શહીદ દિવસ' નિમિત્તે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રાણની આહુતિ આપનાર મહાત્મા ગાંધીજી અને અન્ય શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી બે મિનિટનું મૌન પાળી શહીદોના બલિદાનને યાદ કરાયું. આ પ્રસંગે જિલ્લા કલેકટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. જામનગર જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે પણ રાષ્ટ્રના વીર સપૂતોને આદરાંજલિ આપવામાં આવી. કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર કેતન ઠક્કર અને ઇ. નિવાસી અધિક કલેકટર શારદા કાથડ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ એકત્રિત થયા હતા. તેમણે દેશની આઝાદી અને સુરક્ષા માટે બલિદાન આપનાર શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. માત્ર જિલ્લા મથકે જ નહીં, પરંતુ જામનગર જિલ્લાની વિવિધ પ્રાંત કચેરીઓ, તાલુકા કચેરીઓ, મામલતદાર કચેરીઓ તેમજ અન્ય સરકારી સંસ્થાઓમાં પણ અધિકારીઓ, કર્મચારીઓ અને ઉપસ્થિત નાગરિકો દ્વારા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું. આ તકે ઉપસ્થિત સૌ કોઈએ દેશની એકતા, અખંડિતતા અને સ્વતંત્રતાને જાળવી રાખવા માટે શહીદોના આદર્શો પર ચાલવાની અને રાષ્ટ્રસેવા માટે કટિબદ્ધ રહેવાની ભાવના વ્યક્ત કરી.
જૂનાગઢ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) ના પ્રમુખ અને સ્થાનિક રાજકારણમાં જાણીતા ચહેરા એવા હરેશ સાવલિયાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત મોડી રાત્રે અંદાજે 2 વાગ્યે જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે હરેશ સાવલિયાની ભેસાણ ખાતેથી 'પાસા' હેઠળ ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસ કાફલા દ્વારા તેમને તાત્કાલિક અમદાવાદની સાબરમતી જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિસાવદર ખાતેનો વિવાદ અને એટ્રોસિટીની ફરિયાદ હરેશ સાવલિયા સામેની કાયદેસરની કાર્યવાહીની શરૂઆત વિસાવદર તાલુકાના માંડાવડ મગફળી ખરીદ કેન્દ્ર પર થયેલા હોબાળાથી થઈ હતી. ડિસેમ્બર 2025ના અંતિમ સપ્તાહમાં હરેશ સાવલિયા અને તેમના સાથીઓ પર મગફળી કેન્દ્ર ખાતે ખેડૂતો પાસેથી કથિત રીતે પૈસા ઉઘરાવવા અને દાદાગીરી કરવાના આક્ષેપો થયા હતા. આ ઘટનામાં એક મહિલા શ્રમિક સાથે ગેરવર્તણૂક કરવાના અને જ્ઞાતિસૂચક અપશબ્દો બોલવાના આરોપસર વિસાવદર પોલીસ મથકમાં તેમની વિરુદ્ધ એટ્રોસિટી અને છેડતીની કલમો હેઠળ ગંભીર ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે તેમની ધરપકડ કરી જૂનાગઢ જેલમાં રાખવામાં આવ્યા હતા. જૂનાગઢ જેલમાં હિંસક અથડામણ અને હત્યાની કોશિશનો ગુનો હરેશ સાવલિયા જ્યારે જૂનાગઢ જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ હતા ત્યારે જાન્યુઆરી 2026માં જેલ પરિસરમાં જ અન્ય કેદીઓ સાથે તેમની લોહિયાળ અથડામણ થઈ હતી. મળતી વિગતો મુજબ સાગર ચાવડા નામના કેદી સાથે સામાજિક બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. હરેશ સાવલિયાએ કથિત રીતે ગટરના ઢાંકણા વડે હુમલો કરી કેદીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ મથકમાં હત્યાની કોશિશ (Attempt to Murder) અને ફરીથી એટ્રોસિટીની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. સામા પક્ષે હરેશ સાવલિયા પર પણ અન્ય કેદીઓએ હુમલો કર્યો હતો, જેમાં તેઓ ઈજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. તંત્રની આકરી કાર્યવાહીએક પછી એક નોંધાયેલા ગુનાઓ અને જેલમાં થયેલી હિંસક ઘટનાને ધ્યાને રાખી જૂનાગઢ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હરેશ સાવલિયાને 'અસામાજિક તત્વ' ગણી તેમની સામે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. કલેક્ટર દ્વારા આ દરખાસ્ત મંજૂર કરાતા, LCBએ મધરાતે ઓપરેશન પાર પાડી ભેસાણથી તેમની અટકાયત કરી હતી. સામાન્ય રીતે પાસા હેઠળની ધરપકડમાં આરોપીને પોતાના જિલ્લાથી દૂરની જેલમાં રાખવાનો નિયમ હોવાથી તેમને સાબરમતી જેલ, અમદાવાદ ખાતે મોકલી દેવાયા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓએ આ કાર્યવાહીને રાજકીય કિન્નાખોરી ગણાવી છે, જ્યારે પોલીસ તંત્ર તેને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેનું પગલું ગણાવી રહ્યું છે. હાલ તો હરેશ સાવલિયા સાબરમતી જેલના સળિયા પાછળ છે અને આ મામલે આગામી દિવસોમાં કાયદાકીય લડત તેજ બને એવા સંકેતો છે.
નવસારીના વિજલપોર વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનું કામ વિલંબમાં છે. આના કારણે ડાયવર્ઝનવાળા માર્ગો પર ટ્રાફિક અને ધૂળની સમસ્યાથી સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ આ કામગીરી 31 માર્ચ સુધીમાં પૂર્ણ કરવાની ખાતરી આપી છે. વિજલપોર રેલવે ફાટક દાંડી રોડને નવસારી રેલવે સ્ટેશન સાથે જોડતા મુખ્ય માર્ગ પર આવેલું છે. આ ફાટક પર છેલ્લા પાંચ વર્ષથી ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેની ગતિ ધીમી હોવાનું જણાઈ રહ્યું છે. મુખ્ય માર્ગ પર પીલર બનાવવાનો હોવાથી રાધેપાર્ક તરફના ટીપી રોડ પર વાહનવ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝનની સમયમર્યાદા વીતી ગઈ હોવા છતાં કામગીરી પૂર્ણ થઈ નથી. પરિણામે, રાધે પાર્ક સોસાયટી, ક્રિષ્ના પાર્ક અને ગોપાલનગર જેવા વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ વધ્યું છે. ડાયવર્ઝન તરીકે ઉપયોગમાં લેવાઈ રહેલા રસ્તાઓ જર્જરિત બન્યા છે, જેના કારણે ધૂળની ડમરીઓ ઉડે છે. આ ખખડધજ રસ્તાઓ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા રસ્તાઓની ખરાબ સ્થિતિ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી આ મામલે જણાવે છે કે આ જે રેલવે ઓવરબ્રિજ બની રહ્યો છે જેની કામગીરી NH સ્ટેટ ડિવિઝન ભરૂચ દ્વારા કરવામાં આવી રહી છે. અમે પણ વચ્ચે જે છે બે ત્રણ વખત રિવ્યુ લીધો છે અને હવે લોકોએ જે છે અમને ખાતરી આપી છે કે 31 માર્ચ સુધી આ કામગીરી કમ્પ્લીટ કરી દેશે અને આના જ ભાગરૂપે જે છે આ લોકોની રિકવેસ્ટ ઉપર લેટર ઉપર અમારે ત્યાંથી જે છે અમે ડાયવર્ઝન આપવામાં આવ્યો હતો અને આ લોકોની રિકવેસ્ટ હતી આ મુજબ અમે તાત્કાલિક ડાયવર્ઝન આપ્યું હતું, ત્યારે ડાયવર્ઝનમાં જે છે અમે રોડનું કામ કરાવ્યું હતું પણ અગર ત્યાં ખાડા છે તો અમે ચેક કરાવીશું અને પ્રોપર થાય અને જે છે અમે ઇન્સ્યોર કરીશું કે ત્યાં ટ્રાફિકમાં કોઈ મુશ્કેલી ના નડે. કામગીરીમાં ઢીલાશ જોવાઈ રહી છે ઘણો ટાઈમ થઈ ગયો છે બ્રિજ બની રહ્યો છે લગભગ પાંચ વર્ષ જેવા થઈ જવાના પણ હજુ સુધી પત્યું નથી તો શું એમાં આપણે ધ્યાન આપશું? આમાં અમે અમારી જ્યારે આર.એન્ડ.બી. સાથે ચર્ચા થઈ ત્યારે આ લોકોનું કહેવું હતું કે આમાં ઇનિશિયલ એજન્સી સાથે ઇશ્યૂ હતા, એ ઇશ્યૂ રિઝોલ્વ કર્યા પછી એ લોકોએ કામગીરી ચાલુ કરી, પછી અમુક રેલવેની એક-બે એનઓસીનો ઇશ્યૂ હતો જેના કારણે થોડું ડીલે થયો છે. પણ અત્યારે જે છે એ લોકોએ અમને ખાતરી પણ આપી છે, એજન્સીને પણ અમે અહીંયા બોલાવીને પણ કીધું આની જે છે હાજરીમાં જ મીટિંગ કરી કે લોકોને હેરાનગતિ નહીં થાય અને ઝડપથી પૂરો થાય અને કોર્પોરેશન તરફથી જે સહયોગ આપને જોઈતો હોય એ અમે આપીએ. આની રિકવેસ્ટ હતી કે સાહેબ ડાયવર્ઝન અત્યારે કરી શકીએ તો અમે સીસી રોડ જે છે આ બાજુનો એપ્રોચ રોડ એ બનાવી શકીએ. તો આ ડાયવર્ઝન પણ અમે આપ્યું છે અને હવે જે છે 31 માર્ચ સુધી કામગીરી થઈ જશે એવી ખાતરી એ લોકોએ અમને આપી છે. રાધે પાર્ક સોસાયટીના રહેવાસી મહેન્દ્ર લાડ જણાવે છે કે, છેલ્લા ત્રણ-સાડા ત્રણ વર્ષથી વિજલપોર ઓવરબ્રિજનું કામ શરૂ છે અને છેલ્લા સવા મહિનાથી બ્રિજનું કામ શરૂ હોવાથી અમારી સોસાયટીમાંથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેના લીધે અમારી સોસાયટીમાં ટ્રાફિક અને ધૂળ-માટીની સમસ્યા બહુ વધી ગઈ છે. જેના લીધે અમારા છોકરાઓ પણ બહાર સોસાયટીમાં ફરી નથી શકતા, અમારા જે વૃદ્ધો છે જે રાતના ચાલવા નીકળે છે તે લોકો પણ ફરી નથી શકતા કારણ કે એક્સિડન્ટનો ભય બહુ વધી ગયો છે. તો મારે મહાનગરપાલિકાને એક જ કહેવું છે કે વહેલામાં વહેલું આ કામ પૂરું કરીને આ ધૂળ-માટી અને ટ્રાફિકમાંથી અમારી સોસાયટીને મુક્તિ આપે. ગોપાલનગરમાં રહેતાં કાજલ પટેલ જણાવે છે કે, અમારી એ જ સમસ્યા છે કે જે ઓવરબ્રિજનું કામ ચાલે છે એના નીચેનો જે સર્વિસ રોડ છે અને ઓવરબ્રિજનું કામ પણ પાંચ વર્ષથી ચાલે છે એ વહેલા પૂરું નથી કરતા. સર્વિસ રોડમાં પણ બહુ જ ખાડા પડ્યા છે, તો અમારી એ સમસ્યા છે કે પછી પહેલા ઓવરબ્રિજ સારી રીતે બનાવી દેવો વહેલો અને જે નીચેનો સર્વિસ રોડ છે ને એ પણ તમે કરો. જે ડાયવર્ઝન આપ્યું છે ને એમાં પણ એ રસ્તો નથી સારો. અમારા બાળકોને લઈને અમે જ્યાં જવા માંગીએ છીએ ને તો અમારા બાળકો સાથે અમને જવાનો પણ ડર લાગે છે, એટલા ખાડા છે નીચે રસ્તામાં અને અમારે બધી જ સમસ્યાનો સામનો કરવો પડે છે કારણ કે લેડીઝ થઈને અમારે બધું જ કરવા પડે છે. તમે આ રીતે જે રસ્તાનું કામ કરો છો તે થોડુંક અહીંયા કરો છો, થોડુંક ત્યાં કરો છો, પછી તમે સ્ટોપ કરી દો છો અને પહેલા તમે પૂરું કામ નથી કરતા.પાલિકાને એટલું જ કહેવા માંગુ છું કે જે મહાનગરપાલિકા થઈ ગયું છે હવે તો તમારે અમારી પાસે તમે એટલો બધો ટેક્સ વસૂલો છો, તો પછી અમારી એટલી સમસ્યા છે કે તમે પહેલા રસ્તાનું ક્લિયર કામ કરો. અમને પણ સારું લાગે અને જે પ્રેગ્નેન્ટ લેડી છે ને એ લોકોને બહુ જ તકલીફ પડે છે. પ્રેગ્નેન્ટ લેડીએ જે પણ કંઈ કરવું પડે છે એના માટે સિટીમાં જવું પડે છે અને રસ્તામાં એટલું ટ્રાફિક થઈ જાય છે કે જે સામેથી વાહન આવતું હોય ને તો અમારે સ્ટોપ થઈ જવું પડે છે, બે સામસામે વાહન પણ નથી જઈ શકતા.
ગુજરાત યુનિવર્સિટી ટાવરમાં NSUIના કાર્યકર્તાઓએ રજીસ્ટ્રાર ઓફિસને તાળાબંધી કરી હતી. યુનિવર્સિટી ટાવરમાં આવેલા એક્ઝામિનેશન ડિપાર્ટમેન્ટને પણ NSUIના કાર્યકર્તાઓએ તાળા મારી વિરોધ નોંધાવ્યો હતો. યુનિવર્સિટીના કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ યુનિવર્સિટી ટાવર બહાર વિરોધ પ્રદર્શનની રાહ જોઈ રહી હતી. ત્યાં કેટલાક NSUIના કાર્યકર્તાઓએ પોલીસની નજર ચૂકવી તાળાબંધી કરતા પોલીસ દોડતી થઈ હતી. જે બાદ પોલીસે યુનિવર્સિટી ટાવરમાં જઈને NSUIના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. એકપણ કર્મચારી સમયસર હાજર ન રહેતા હોવાનો આક્ષેપગુજરાત યુનિવર્સિટીમાં એકપણ કર્મચારી સમયસર હાજર ન રહેતા હોવાનો NSUI એ આક્ષેપ કર્યો છે. કુલપતિ સહિત જવાબદાર અધિકારીઓ પણ સમયસર ઓફિસમાં હાજર ન રહેતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેને લઈને NSUI વિરોધ પ્રદર્શન કરી કુલપતિ અને રજીસ્ટાર ઓફિસની તાળાબંધી કરવાનું હતું. જેથી યુનિવર્સિટી ટાવર આસપાસ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓ ટાવરના નીચે ભાગે જ NSUIના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરે તેવી ધારણા સાથે નજર રાખી રહ્યા હતા. તેમજ ટાવરમાં જવાના દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. જો કે પોલીસની હાજરી હોવા છતાં કેટલાક NSUIના કાર્યકર્તાઓ નજર ચૂકવી યુનિવર્સિટી ટાવરમાં ઘૂસી ગયા હતા. પોલીસની હાજરી છતાં NSUI કાર્યકર્તા યુનિવર્સિટીમાં ઘૂસી ગયા હતાપોલીસને આવી આશા હતી કે NSUIના કાર્યકર્તાઓ યુનિવર્સિટીમાં ટાવર નીચે વિરોધ કરીને જતા રહેશે. પરંતુ પીઆઈ અને અન્ય પોલીસ કર્મચારીઓ હાજર હોવા છતાં NSUIના કાર્યકર્તાઓ યુનિવર્સિટીમાં ઘૂસી ગયા હતા. ટાવરમાં પ્રવેશ્યા બાદ NSUIના કાર્યકર્તાઓએ રજીસ્ટ્રાર ઓફિસની તાળાબંધી કરી દીધી હતી. તેમજ જ્યાં કર્મચારીઓ સમયસર નથી આવતા તેવા એક્ઝામિનેશન ડિપાર્ટમેન્ટને પણ સાંકળ બાંધી તાળા મારી દેવામાં આવ્યા હતા. તાળાબંધીની ઘટના સામે આવતાં જ પોલીસ તંત્ર દોડતું થયું હતું. પોલીસ અધિકારીઓ તાત્કાલિક યુનિવર્સિટી ટાવરમાં પહોંચ્યા હતા. NSUIના કાર્યકર્તા અને પોલીસ વચ્ચ ઘર્ષણ અને ખેંચાતાણNSUIના કેટલાક કાર્યકર્તાઓએ રજીસ્ટ્રાર ઓફિસને તાળાબંધી કરી દીધી હતી. જે બાદ પોલીસે રોકવા જતા NSUIના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચ ઘર્ષણ અને ખેંચાતાણી પણ જોવા મળી હતી. જો કે તે બાદ પોલીસે યુનિવર્સિટી ટાવરમાં પ્રવેશી NSUIના કાર્યકર્તાઓની ટીંગાટોળી અટકાયત કરી હતી. યુનિવર્સિટી ટાવરથી NSUIના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને નીચે લાવીને અટકાયત કરવામાં આવી હતી. જો કે તાળાબંધી કરવામાં આવતા કર્મચારીઓ અંદર ફસાઈ ગયા હતા. જેથી પોલીસે સાંકળથી કરેલી તાળાબંધી લોક તોડીને દરવાજો ખોલવામાં આવ્યો હતો. રજીસ્ટ્રાર ઓફિસની તાળાબંધી કરી વિરોધ કરાયોNSUIના કાર્યકર્તાઓ વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા જ રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીનો જે સમય છે ત્યારે એકપણ અધિકારી સમયસર આવતા નથી. કુલપતિ સહિતના અધિકારીઓ સમયસર હાજર રહેતા નથી. આજે રજીસ્ટ્રાર ઓફિસની તાળાબંધી કરી વિરોધ કરવામાં આવ્યો હતો. આગામી દિવસમાં કોઈ અધિકાર હાજર નહીં રહે તો અને કોઈ પગલા નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરીશું. તેમજ અધિકારો ખાલી ખોટો પગાર લઈ રહ્યા છે. જમવા જાય તો 4 વાગ્યા સુધી તો આવતા પણ નથી. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હેરાન થતા હોવાથી તાળાબંધી કરીને વિરોધ નોંધવામાં આવ્યો છે. સવારે 10:30 વાગ્યાનો સમય છે છતાં કોઈ સમયસર હાજર રહેતું નથી.
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે વિશેષ પ્રાર્થના સભા અને રેંટિયો કાંતણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમિતિ સંચાલિત તમામ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાપુના આદર્શોને યાદ કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત ભજન અને પ્રાર્થનાથી થઈ હતી, ત્યારબાદ ૨ મિનિટનું મૌન પાળી ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અને સુતરની આંટી અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. મહાનુભાવોની ઉપસ્થિતિ અને માર્ગદર્શન આ કાર્યક્રમમાં અધ્યક્ષ આદિત્યભાઈ પટેલ, ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર અને શાસનાધિકારી ડો. વિપુલ ભરતિયા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સમિતિના સભ્યો નીપાબેન પટણી, રણજીતભાઈ રાજપુત, ડો. શર્મિષ્ઠા સોલંકી અને નિલેશભાઈ કહારની પણ ગૌરવપૂર્ણ હાજરી રહી હતી. મહાનુભાવોએ બાપુના જીવનમૂલ્યોને આજના સમયમાં પણ પ્રસ્તુત ગણાવ્યા હતા. સ્વદેશી અપનાવવાનો અને અહિંસાનો સંદેશ શ્રદ્ધાંજલિ બાદ અધ્યક્ષ દ્વારા પ્રતીકાત્મક રીતે રેંટિયો કાંતવામાં આવ્યો હતો. તેમણે સંબોધનમાં જણાવ્યું કે સત્ય અને અહિંસાના માર્ગે ચાલવું એ જ બાપુને સાચી અંજલિ છે. તેમણે વધુમાં સ્વદેશી વસ્તુઓના ઉપયોગ પર ભાર મૂકતા ઉમેર્યું કે આત્માવલોકન સાથે જીવનમાં પ્રગતિ કરવી એ સમયની માંગ છે. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને રાષ્ટ્રગીત સાથે સમાપન થયું હતું.
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટે રચાયેલી વિધાનસભાની સમિતિની બેઠક ગુજરાત વિધાનસભા સચિવાલયમાં યોજાઈ હતી. બેઠકમાં શિક્ષણ વિભાગ, તાલુકા શિક્ષણ અધિકારીની ભરતી, કેળવણી નિરીક્ષકની પરીક્ષા પ્રક્રિયા તેમજ સરકારી યોજનાઓના અમલ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. જીઓ ફેસિંગ એટેન્ડન્સ સિસ્ટમ અમલમાં લાવવા ભલામણસમિતિએ શાળાઓમાં ડમી શિક્ષકોની સમસ્યા દૂર કરવા માટે ફેસ રીડિંગ અને જીઓ ફેસિંગ આધારિત હાજરી સિસ્ટમ અમલમાં લાવવા ભલામણ કરી હતી. ઉપરાંત, શાળાઓના બિલ્ડિંગના બાંધકામ સમયસર પૂર્ણ થાય અને વધુમાં વધુ એક વર્ષમાં નવું શૈક્ષણિક આયોજન શક્ય બને તે માટે પણ સૂચનો કરવામાં આવ્યા. નિરીક્ષકની ભરતીની જાહેરાત માટે સૂચના આપવામાં આવીબેઠક દરમિયાન તાલુકા શિક્ષણ અધિકારીઓની પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાનું અને પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાનું જણાવાયું હતું. જ્યારે કેળવણી નિરીક્ષકની ભરતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડને જાહેરાત માટે સૂચના આપવામાં આવી હોવાનું પણ સ્પષ્ટ કરાયું. સરકારી યોજનાઓના લાભાર્થીઓની માહિતી તપાસ કરાઈપંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત અધિકારીઓની સંખ્યા, ખાલી જગ્યાઓ અને સરકારી યોજનાઓના લાભાર્થીઓ અંગેની માહિતીની પણ સમિતિ દ્વારા તપાસ કરવામાં આવી. જરૂરી સાહિત્ય સમયસર રજૂ ન થવાને કારણે સંબંધિત વિભાગોને તાકીદ કરવામાં આવી હતી. આગામી બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશેસમિતિએ સ્પષ્ટ કર્યું કે સુપ્રીમ કોર્ટના માર્ગદર્શિકા અનુસાર રજૂ થયેલા તમામ અહેવાલોના આધારે આગામી બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.
બોટાદમાં શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અપાઈ:સરકારી કચેરીઓમાં બે મિનિટનું મૌન પાળી શહીદોને યાદ કરાયા
બોટાદ જિલ્લામાં શહીદ દિવસ નિમિત્તે મહાત્મા ગાંધીજી અને દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે બે મિનિટનું મૌન પાળી શહીદોના બલિદાનને યાદ કરાયું હતું. આ પ્રસંગે બોટાદ કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળી શહીદ વીરોના યોગદાનને સ્મરણ કર્યું હતું. આ ઉપરાંત રાણપુર, બરવાળા અને ગઢડાની પ્રાંત કચેરીઓ તેમજ બોટાદ તાલુકા કચેરી ખાતે પણ અધિકારીઓ, કર્મચારીઓ અને ઉપસ્થિત નાગરિકોએ શાંતિપૂર્વક બે મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. શહીદ દિવસના આ અવસરે દેશની એકતા, અખંડિતતા અને સ્વતંત્રતા માટે બલિદાન આપનાર મહાન વીરોના આદર્શોને યાદ કરવામાં આવ્યા હતા. આ સાથે તેમના માર્ગ પર ચાલવાની પ્રતિજ્ઞા પણ વ્યક્ત કરવામાં આવી હતી.
પાટણ ફિલ્ટર પ્લાન્ટની ટાંકી જર્જરિત, પાણીનો વેડફાટ:નવી ટાંકી બિનઉપયોગી, લાખો લીટર શુદ્ધ પાણી ગટરમાં
પાટણ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે. શહેરના સિદ્ધિ સરોવર ફિલ્ટર પ્લાન્ટની મુખ્ય ઓવરહેડ ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં છે. આ ટાંકીમાં પાણી ભરવામાં આવતા હજારો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ 10 લાખ લીટરની ક્ષમતા ધરાવતી ટાંકીમાં ભયજનક લીકેજ છે. ટાંકીની ચારે તરફથી પાણીની ધારાઓ વહી રહી છે, જેના કારણે લાખો લીટર શુદ્ધ પાણી ગટરમાં જઈ રહ્યું છે. ટાંકીમાં પડેલા મોટા ગાબડાં અને લીકેજને કારણે તે ગમે ત્યારે ધરાશાયી થાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. આશ્ચર્યજનક રીતે, આ ફિલ્ટર હાઉસની બાજુમાં જ થોડા મહિના પહેલા એક નવી ટાંકી બનાવવામાં આવી છે. જોકે, તંત્રના આયોજનના અભાવે આ નવી ટાંકીમાં પૂરતું પ્રેશર ન મળતા તે હાલ બંધ હાલતમાં પડી છે. નવી ટાંકીનો ઉપયોગ ન થતા અને જૂની ટાંકી લીકેજ હોવાને કારણે કરદાતા નાગરિકોના પૈસા અને કિંમતી પાણી બંનેનો બગાડ થઈ રહ્યો છે. આ અંગે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે નવી ટાંકી બની ગઈ હોય તો તેનો ઉપયોગ કેમ નથી કરાતો અને જો જૂની ટાંકી જોખમી છે તો તેની મરામત કેમ કરવામાં આવતી નથી. આ બાબતે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, નવી ઓવરહેડ ટાંકીમાં પૂરતું પ્રેશર ન મળતા અને હાલ શહેરીજનોને એક જ ટાઈમ પાણી મળતું હોવાથી પૂરતા પ્રેશરથી પાણી મળી રહે તે માટે જૂની ટાંકીમાં પાણી ભરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લીકેજ પાણીની પાઇપનું પણ રિપેરિંગ કરવામાં આવશે.
જામનગરમાં વૃદ્ધના ખિસ્સામાંથી 34,000 ચોરાયા:LCBએ ગણતરીના કલાકોમાં તસ્કરને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યો
જામનગરમાં એક બુઝુર્ગના ખિસ્સામાંથી ₹34,000ની ચોરી થઈ હતી. હાટકેશ સોસાયટીમાં રહેતા 63 વર્ષીય વિજયભાઈ મગનલાલ ભારદિયા લીમડા લાઇન નજીક એક હોટલ બહાર પકોડા ખાઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. વિજયભાઈએ બેંક ખાતામાંથી ₹34,000 ઉપાડીને પોતાના પેન્ટના પાછળના ખિસ્સામાં રાખ્યા હતા. પકોડા ખાતી વખતે કોઈ અજાણ્યા તસ્કરે તેમના ખિસ્સામાંથી આ રોકડ રકમ ચોરી લીધી હતી. ચોરી થયા બાદ વિજયભાઈ ભારદિયાએ તાત્કાલિક જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેમની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. ફરિયાદ મળતા જ જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમ સક્રિય થઈ હતી. ટીમે હોટલ અને આસપાસની દુકાનોના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. સીસીટીવીમાં દેખાઈ રહેલા 25 થી 30 વર્ષના એક વ્યક્તિના વર્ણનના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ તસ્કરને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપાયેલા તસ્કર પાસેથી ચોરી થયેલી સંપૂર્ણ ₹34,000ની રોકડ રકમ કબજે કરી લીધી છે.
લખતર પ્રોહિબિશન કેસનો ફરાર આરોપી ઝડપાયો:સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે રતનપર બાયપાસથી પકડ્યો
સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે લખતર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં નાસતા ફરતા આરોપી ભુપતસિંહ વજેસિંહ ઝાલાને ઝડપી પાડ્યો છે. આરોપીને રતનપર બાયપાસ પાસેથી પકડી પાડવામાં આવ્યો હતો. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS) દ્વારા રાજકોટ રેન્જમાં ફરાર આરોપીઓને પકડવા સૂચના આપવામાં આવી હતી. આ અંતર્ગત, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)એ 21 જાન્યુઆરી, 2026થી 31 જાન્યુઆરી, 2026 સુધી ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. આ ડ્રાઇવના ભાગરૂપે, એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર અને પેરોલ ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમા તથા જે.વાય.પઠાણે ટીમના કર્મચારીઓને ફરાર આરોપીઓને શોધવા માટે એક્શન પ્લાન બનાવ્યો હતો. ટીમે સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિંગ કરી હ્યુમન અને ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કર્યો હતો. પેરોલ ફર્લો સ્કવોડની ટીમને પો.કોન્સ. ચંદ્રવિજયસિંહ સુખદેવસિંહ દ્વારા મળેલી સચોટ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી. લખતર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 519/2025, પ્રોહિબિશન કલમ 65 (એ.ઇ.), 116 (બી) મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપી ભુપતસિંહ વજેસિંહ ઝાલા (રહે. સદાદ, તા. લખતર, જિ. સુરેન્દ્રનગર)ને રતનપર બાયપાસ ખાતેથી ઝડપી લેવામાં આવ્યો. આરોપીની કાયદેસરની કાર્યવાહી બાદ તેનો કબજો લખતર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કામગીરીમાં PSI એન.એ. રાયમા, PSI જે.વાય. પઠાણ, અજયવિરસિંહ વિજયસિંહ, અશ્વિનભાઇ ઇશ્વરભાઇ, ચંદ્રવિજયસિંહ સુખદેવસિંહ અને મેહુલભાઇ બુધાભાઇ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
રાજ્યભરમાં વિવિધ કેન્દ્રો પર યોજાયેલી ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર તથા વાયરમેનની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. લાયસન્સિંગ બોર્ડ, ઉદ્યોગભવન, ગાંધીનગર દ્વારા તા. 29 ઓક્ટોબર 2025 થી 1 નવેમ્બર 2025 દરમિયાન લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ અધિકૃત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યું છે. પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારો પોતાનું પરિણામ https://ceiced.gujarat.gov.in વેબસાઇટ પર CEICED પોર્ટલમાં લોગિન કરી ‘Application Status’ વિભાગમાં જોઈ શકશે. તેમજ ઉમેદવારો તા. 1 ફેબ્રુઆરી 2026થી પોતાનું પરિણામ ડાઉનલોડ પણ કરી શકશે. લાયસન્સિંગ બોર્ડ દ્વારા ઉમેદવારોને નિયમિત રીતે પોર્ટલ ચેક કરવા અને અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
ગાંધીનગર, અમદાવાદ,પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં સંગઠિત ગુનાખોરી આચરીને આતંક મચાવતા ગાંધીનગર કુખ્યાત ભરત સુખાભાઇ રબારી સહિત છ શખ્સો ગેંગ વિરુદ્ધ લોકલ ક્રાઈમ બ્રાંચે કડક રીતે કાયદાનો સકંજો કસ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગના કુલ 6 સભ્યો વિરુદ્ધ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અજમલ રબારીની ધરપકડ કરી લીધી છે. ક્રાઈમને અંજામ આપવા આરોપીએ ગેંગ બનાવી હતીઆ અંગે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી ગાંધીનગર શહેરમાં રહેતા ભરત સુખાભાઇ રબારીએ (હાલ રહે. પ્લોટ નંબર 258/1, સેક્ટર 4એ, મુળ રહે. શીપર ગામ, તા.શંખેશ્વર જી.પાટણ) ઓર્ગેનાઈઝડ ક્રાઈમને અંજામ આપવા તેના સાગરીતો હરીભાઇ સુખાભાઇ રબારી ( મકવાણા)(હાલ રહે. મ.નં – એ/404, શિક્ષાપત્રી સ્કાયકોર્ટ, સરગાસણ), અજમલ સુખાભાઇ રબારી (હાલ રહે. 258/1, સેક્ટર - 4 એ) ,બળદેવભાઇ વિરમભાઇ રબારી (આલ) (હાલ રહે. મ.નં.- 502, શ્રીરંગ નેનોસીટી, સરગાસણ, ગમુળ રહે. ભલગામ, તા.પાટડી),ભોજાભાઇ ભુરાભાઇ ભરવાડ (હાલ રહે. મ.નં.- બી/503, શ્રીરંગ નેનોસીટી, સરગાસણ, મુળ રહે. જાડીયાણા ગામ, તા.પાટડી) અને રવિ સેવંતીભાઇ નાયી (રહે. ગોકુલપુરાના છાપરામાં, સેક્ટર - 14) ની ગેંગ બનાવી હતી. 50 લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતીઆ ગેંગે ગંભીર પ્રકારના મિલકત તથા શરીર સંબંધિત ગુનાઓ આચરી ગાંધીનગર, અમદાવાદ , પાટણ તથા સુરેન્દ્રનગર જીલ્લામાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. માથાભારે ભરત રબારી સહિતની ગેંગ અંગે ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ ડી.બી.વાળા તથા જે.જે.ગઢવીએ તપાસ કરતાં તાજેતરમાં ગેંગ લીડર ભરત રબારીએ તેના સાગરીતો સાથે મળી પાટણના રાધનપુર ખાતે ફાયર આર્મ્સ હથિયાર સાથે બે જણ પર જીવલેણ હુમલો કરી રૂપિયા 50 લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ગેંગ વર્ષ 2016થી સક્રિય હતીજેથી, ગેંગનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતાં આરોપીઓ દ્રારા ભૂતકાળમાં હત્યાનો પ્રયાસ, બળજબરીથી લૂંટ ચલાવવી, આર્મ્સ એકટ, ગેરકાયદેસર મંડળી રચી હથિયાર સાથે હુલ્લડ કરવા, બનાવટી દસ્તાવેજો ઉભા કરી કિંમતી જમીન પચાવી પાડવી, ધાકધમકી આપવા સહિતના અસંખ્ય ગુનાઓ નોંધાયેલ હતા. આ તમામ આરોપીઓ એકબીજા સાથે ઉપરોકત ગુનાઓમાં ભૂતકાળમાં પકડાયા હતા .આ ગેંગ વર્ષ 2016થી સક્રિય હતી અને અત્યાર સુધીમાં તેમની વિરુદ્ધ ગાંધીનગર, અમદાવાદ, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં કુલ 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગના સભ્યો જમીન પચાવી પાડવી, હથિયારો વડે હુમલો કરવો અને વેપારીઓ પાસેથી લાખોની ખંડણી ઉઘરાવવા જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. જો કોઈ નાગરિક આ ગેંગનો ભોગ બન્યો છે તો પોલીસનો સંપર્ક કરેવધુમાં એસ.પી.એ ઉમેર્યું કે,ગેંગનો મુખ્ય સૂત્રધાર ભરત રબારી તેમજ તેના સાથીદારો હરીભાઇ રબારી, બળદેવભાઇ રબારી હાલ પાટણ સબ જેલ ખાતે કસ્ટડીમાં છે. જેઓને ટ્રાન્સફર વોરંટથી લઈ આવવામાં આવશે. હાલમાં પોલીસે અન્ય એક આરોપી અજમલ રબારીની ધરપકડ કરી છે.જ્યારે ભોજાભાઇ ભરવાડ અને રવિભાઇ નાયી હજુ પણ પોલીસ પકડથી દૂર એટલે કે વોન્ટેડ છે. જનતાને અપીલ છે કે, જો કોઈ નાગરિક આ ગેંગનો ભોગ બન્યો હોય તો તેઓ કોઈપણ ડર વગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અથવા નાયબ પોલીસ અધીક્ષકનો સંપર્ક કરે. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. વધુમાં આ ગેંગને આર્થિક મદદ કરનાર કે આશરો આપનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની એસપીએ ચેતવણી આપી છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બાકરોલ ગામે આવેલા મીની રાજઘાટ ખાતે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ સાંસદ, જિલ્લા ડીપીઓ અને સામાજિક કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બાકરોલના હાથીઓ ડુંગરા નજીક નદી કિનારે મહાત્મા ગાંધીના અસ્થિનું વિસર્જન દિલ્હી બાદ આ સ્થળે મહાદેવ દેસાઈ અને બાકરોલ ગામના વડીલો દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્થળે ગાંધીજીની ડેરી હતી, જ્યાં અગાઉ લોકમેળો યોજાતો હતો. થોડા વર્ષો પહેલા પૂર્વ સાંસદ મહેન્દ્રસિંહજીના સહયોગથી દિલ્હીના રાજઘાટની જેમ અહીં મીની રાજઘાટનું નિર્માણ કરાયું હતું. ગાંધી નિર્વાણ દિન નિમિત્તે આ કાર્યક્રમમાં જૂના ગાંધીયનો, ગામના નાગરિકો અને શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ ગાંધીજીના પ્રિય ભજન ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ની પ્રાર્થના સાથે થયો હતો. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ ગાંધીજીના જીવન અને તેમની વિચારધારા પર વક્તવ્યો આપ્યા હતા. ઉપસ્થિત ગાંધીયનોએ આઝાદીના સંઘર્ષમાં ગાંધીજીના ત્યાગ અને કાર્યોને યાદ કર્યા હતા. આ પ્રસંગે પૂર્વ સાંસદ મહેન્દ્રસિંહજીએ જણાવ્યું હતું કે, ‘આજે મંચ પરથી ગાંધીજીની વાત કરનારા ઘણા છે, પરંતુ તેમના વિચારોને જીવનમાં અમલમાં મૂકનારા બહુ ઓછા છે.’ જિલ્લા ડીપીઓ નૈનિશ દવેએ કહ્યું કે અરવલ્લી જિલ્લાની શાળાઓમાં સ્વચ્છતા, પ્રમાણિકતા અને નૈતિક મૂલ્યો જેવા ગાંધીજીના વિચારો બાળકો સુધી પહોંચાડવામાં આવે છે. સામાજિક કાર્યકર નિલેશ જોષીએ જણાવ્યું હતું કે, 'મહાત્મા ગાંધીની હત્યા કરનાર ગોડસેએ પણ હત્યા પહેલા ગાંધીજીને વંદન કર્યું હતું. ગાંધીજીએ આપેલા અહિંસાના શસ્ત્રની આજે સમગ્ર વિશ્વને સૌથી વધુ જરૂર છે.' કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થા બાકરોલના સરપંચ પંકજસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન સામાજિક કાર્યકર અમિત કવિએ કર્યું હતું. અંતે બે મિનિટનું મૌન પાળીને અને પુષ્પાંજલિ અર્પણ કરીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
સાબરકાંઠામાં મહિલા ઉદ્યમીઓ માટે તાલીમ શરૂ:જિલ્લા પંચાયત ખાતે બે દિવસીય 'બિઝનેસ વેલનેસ' કાર્યક્રમ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મહિલા ઉદ્યમીઓને સશક્ત કરવા માટે બે દિવસીય 'બિઝનેસ વેલનેસ તાલીમ'નો પ્રારંભ થયો છે. જિલ્લા પંચાયત ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) ના નિયામક કે. પી. પાટીદારના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ તાલીમ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) યોજના હેઠળ ઉત્પાદન સાથે જોડાયેલા સ્વસહાય જૂથો (SHG) ની મહિલાઓને વ્યાવસાયિક દ્રષ્ટિએ સજ્જ કરવા માટે આયોજિત કરાઈ છે. તેનો મુખ્ય હેતુ મહિલાઓના ઉદ્યમને માત્ર 'કામ' પૂરતું સીમિત ન રાખતા, તેને એક સફળ બિઝનેસ મોડલમાં પરિવર્તિત કરવાનો છે. આ કાર્યક્રમ ડૉ. કે.આર.શ્રોફ ફાઉન્ડેશન, કારીગર ક્લિનિક સંસ્થા (અમદાવાદ) અને NRLM ના સંયુક્ત ઉપક્રમે યોજાયો છે. યોગ્ય માર્ગદર્શન અને ટેકનિકલ સમજ દ્વારા ગ્રામીણ મહિલાઓને સાચા અર્થમાં ઉદ્યમી બનાવવાની દિશામાં આ એક મહત્વનું પગલું છે. તાલીમના પ્રથમ દિવસે નિયામક કે.પી.પાટીદારે મહિલાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનના મહિલા સશક્તિકરણના સ્વપ્નને સાકાર કરવા માટે આ પ્રકારની તાલીમ અનિવાર્ય છે. સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી ઉત્પાદન પ્રવૃત્તિ સાથે જોડાયેલા સ્વસહાય જૂથના 30 જેટલા સભ્યો આ તાલીમમાં જોડાયા છે.
સાબરકાંઠામાં શહીદ દિનની ઉજવણી:વીર શહીદોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઈ
સાબરકાંઠા જિલ્લામાં 30 જાન્યુઆરીના રોજ શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આઝાદી અને માતૃભૂમિના રક્ષણ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર શહીદોની યાદમાં હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. જિલ્લા કલેક્ટર કચેરીના હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ અને નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વહીવટી તંત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ શહીદોના સન્માનમાં બે મિનિટનું મૌન પાળ્યું હતું. સમગ્ર દેશમાં શહીદ દિન મહાત્મા ગાંધીજીના બલિદાનને યાદ કરવા ઉપરાંત ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ સહિત અસંખ્ય દેશભક્તોના ત્યાગને સ્મરીને રાષ્ટ્રની એકતાનો સંદેશ આપે છે. આ અવસરે યુવાનોને શહીદોના આદર્શો જેવા કે સત્ય, અહિંસા અને દેશસેવાની ભાવના સાથે આગળ વધવા અપીલ કરવામાં આવી હતી. વહીવટી તંત્રના સભ્યોએ શહીદોના સપનાનું ભારત બનાવવાનો દ્રઢ સંકલ્પ પણ લીધો હતો.
મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષણના નિયમોનું ઉલ્લંઘન કરતી ખાનગી સ્કૂલો સામે લાલ આંખ કરવામાં આવી છે. જિલ્લામાં ગ્રાન્ટેડ સ્કૂલો બાદ હવે ખાનગી સ્કૂલોમાં હાથ ધરવામાં આવેલા સઘન ઈન્સ્પેક્શન દરમિયાન ગંભીર બેદરકારી સામે આવતા શિક્ષણ વિભાગે ચાર મોટી ખાનગી સ્કૂલોને દંડ ફટકારી કડક કાર્યવાહી કરી છે. કડીની વિદ્યામંદિર હાઈસ્કૂલમાં મનસ્વી રીતે ફી ઉઘરાવાતી હતીશિક્ષણ વિભાગની તપાસમાં ઉત્કર્ષ વિદ્યાલયમાં શારીરિક શિક્ષણનો અભાવ અને લાયકાત વગરના શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવતું હોવાનું ખુલ્યું હતું, જેના બદલ સ્કૂલને દંડ ફટકારાયો છે. આ ઉપરાંત કડીની વિદ્યામંદિર હાઈસ્કૂલ દ્વારા ફી રેગ્યુલેટરી કમિટી FRCમાં જરૂરી દરખાસ્ત કર્યા વગર જ મનસ્વી રીતે ફી ઉઘરાવવામાં આવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. નિયમો નેવે મૂકીને ચાલતી આ સ્કૂલો સામે પણ તંત્રએ દંડનીય પગલાં ભર્યા છે. ખણુસાની સેન્ટ જોસેફ હાઈસ્કૂલ ફરી વિવાદમાંવિદ્યાર્થીઓની સુરક્ષાના મુદ્દે ખણુસાની સેન્ટ જોસેફ હાઈસ્કૂલ ફરી વિવાદમાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ જ સ્કૂલમાં વીજ કરંટ લાગવાથી એક માસૂમ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. તેમ છતાં શિક્ષણ વિભાગની વર્તમાન તપાસમાં હજુ પણ સ્કૂલમાં સેફ્ટીના નિયમોનું ચુસ્ત પાલન થતું ન હોવાનું જણાતા DEO કચેરીએ આકરી કાર્યવાહી કરી છે. આ ઉપરાંત અન્ય એક સ્કૂલમાં ટ્રાન્સપોર્ટેશનના નિયમોના ભંગ બદલ પણ કાર્યવાહી કરવામાં આવી છે. સ્કૂલોમાં ફાયર સેફ્ટી, ટ્રાન્સપોર્ટેશન અને અન્ય સરકારી માપદંડો અંગે તપાસજિલ્લા શિક્ષણાધિકારી બી. એન. પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં કોઈ પણ ખાનગી સ્કૂલ વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે બાંધછોડ કરશે કે લાયકાત વગરના સ્ટાફ અને ફીના ખોટા ઉઘરાણા કરશે તો તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. હાલમાં જિલ્લાની તમામ ખાનગી સ્કૂલોમાં ફાયર સેફ્ટી, ટ્રાન્સપોર્ટેશન અને અન્ય સરકારી માપદંડો અંગે તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે.
કરણી સેનાનો UGCના નવા નિયમો સામે ઉગ્ર વિરોધ:વલસાડમાં કલેક્ટરને આવેદનપત્ર, સંસદ ઘેરાવની ચીમકી
ભારત સરકાર દ્વારા અમલમાં મુકાયેલા યુજીસીના નવા નિયમો સામે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ નિયમોને 'કાળા કાયદા' ગણાવીને, શ્રી ક્ષત્રિય કરણી સેના પરિવારે આજે વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ક્ષત્રિય કરણી સેનાના વલસાડ જિલ્લા પ્રમુખ ગજેન્દ્રસિંહ રાઠોડે મીડિયાને જણાવ્યું હતું કે, સરકારે પસાર કરેલો આ કાયદો સવર્ણ સમાજ વિરુદ્ધ છે. તેમણે દાવો કર્યો કે આ કાયદા હેઠળ કોઈપણ તપાસ વગર નિર્દોષ વ્યક્તિને જેલમાં ધકેલી દેવાની જોગવાઈ સમાનતાના અધિકારનું હનન કરે છે. રાઠોડે વધુમાં ઉમેર્યું હતું કે, જ્યાં સુધી આ કાયદો પાછો ખેંચાશે નહીં ત્યાં સુધી તેઓ શાંતિથી બેસશે નહીં. જરૂર પડ્યે રસ્તા પરથી સંસદ સુધી ઘેરાવ કરવાની ચીમકી તેમણે ઉચ્ચારી હતી, જે દર્શાવે છે કે તેમનો વિરોધ વધુ ઉગ્ર બનશે. કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા સુમિત પ્રતાપસિંહ રાણાએ જણાવ્યું કે, તેઓ આ કાયદો લાગુ થવા દેશે નહીં. તેમણે સુપ્રીમ કોર્ટે આપેલા સ્ટેનું સ્વાગત કર્યું હતું, પરંતુ તેમની મુખ્ય માંગ સંસદમાંથી જ આ કાયદાને નાબૂદ કરવાની છે. તેમણે ભાજપ સરકારના 'સબકા સાથ, સબકા વિકાસ'ના સૂત્ર પર સવાલ ઉઠાવ્યા હતા, પૂછ્યું હતું કે જો હિન્દુ-હિન્દુ વચ્ચે જ લડાઈ થશે તો વિકાસ કેવી રીતે થશે. કરણી સેનાના આગેવાનોએ ચેતવણી આપી છે કે જો સરકાર આ કાયદામાં સુધારો નહીં કરે અથવા તેને પાછો નહીં ખેંચે, તો આગામી દિવસોમાં હજારો કરણી સૈનિકો દિલ્હીમાં લાલ કિલ્લા અને સંસદ ખાતે મોરચો માંડશે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન વલસાડ કલેક્ટર કચેરી બહાર મોટી સંખ્યામાં કરણી સેનાના કાર્યકરો એકઠા થયા હતા. તેમણે 'જય શ્રી રામ' અને સંગઠનના સમર્થનમાં જોરદાર નારા લગાવ્યા હતા, જેનાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
સુરત શહેરના લિંબાયત ઝોન હેઠળ આવતા ડિંડોલી વિસ્તારમાં ભૂગર્ભ જળનું ગેરકાયદેસર રીતે બોર કરીને તેને વેચવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. ડિંડોલી માનસી રેસીડેન્સીની સામેના ભાગમાં કેટલાક તત્વો દ્વારા મનપાની પરવાનગી વગર મોટા પ્રમાણમાં બોરવેલ બનાવી પાણી કાઢવામાં આવતું હતું. આ ફરિયાદ મળતાની સાથે જ લિંબાયત ઝોનની ટીમ જેસીબી અને બુલડોઝર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને ગેરકાયદે બાંધકામો તેમજ બોરવેલ તોડી પાડવાની કામગીરી શરૂ કરી હતી. પાંડેસરા GIDCની મિલોમાં સપ્લાય થતું હતું પાણીપ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, જમીનમાંથી કાઢવામાં આવેલું આ પાણી ટેન્કરો મારફતે પાંડેસરા GIDC વિસ્તારની વિવિધ મિલો અને એકમોમાં મોકલવામાં આવતું હતું. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, આ ગેરકાયદેસર વેપાર છેલ્લા બેથી ત્રણ મહિનાથી ધમધમી રહ્યો હતો. રહેણાંક વિસ્તારમાં આ રીતે પાણીનો વેપાર થવાથી ભવિષ્યમાં જળસ્તર નીચે જવાની ભીતિ સેવાઈ રહી હતી, જેને પગલે લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. જુનિયર એન્જિનિયર પીયૂષ રાઠોડનું નિવેદનઆ કામગીરી અંગે માહિતી આપતા લિંબાયત ઝોન પાણી વિભાગના જુનિયર એન્જિનિયર પીયૂષ રાઠોડે જણાવ્યું હતું કે, અમને ફરિયાદ મળી હતી કે અહીં બોરવેલ બનાવી પાણીનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે. તપાસ કરતા ફરિયાદ સાચી જણાઈ હતી. અમે અત્યાર સુધીમાં કુલ 8 કાર્યરત બોરવેલ શોધીને તેને બંધ કરી દીધા છે. હજુ પણ અન્ય બોરવેલની ઓળખ કરવામાં આવી રહી છે અને તમામ ગેરકાયદે કનેક્શન કાપી નાખવાની પ્રક્રિયા ચાલુ છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે.
સુરતમાં મતદાર યાદી સુધારણા મિશન મોડમાં:જિલ્લાની 16વિધાનસભામાં SIR કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ
સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકો માટે ચાલી રહેલી સ્પેશ્યલ ઇન્ક્વાયરી રોલ (SIR) કામગીરીની સમીક્ષા કરવા માટે ખાસ બેઠક યોજાઈ હતી. ભારતીય ચૂંટણી પંચના સ્પેશ્યલ રોલ ઓબ્ઝર્વર એ.કે. મિશ્રાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે આ બેઠક સંપન્ન થઈ હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મતદાર યાદી સુધારણા એ માત્ર વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ ‘નેશન બિલ્ડીંગ’ એટલે કે રાષ્ટ્ર નિર્માણનું પવિત્ર કાર્ય છે. 25 વર્ષ બાદ વ્યાપક સુધારણા બેઠકમાં એ.કે. મિશ્રાએ મહત્વની વિગત આપતા જણાવ્યું કે, લગભગ 25 વર્ષના લાંબા સમયગાળા બાદ આટલી વ્યાપક કક્ષાએ મતદાર યાદી સુધારણા હાથ ધરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ડુપ્લીકેટ નામો દૂર કરવા અને ASD (ગેરહાજર, સ્થળાંતરિત અને મૃત) મતદારોનું સચોટ મેપિંગ કરવાનો છે. આ પ્રક્રિયાના અંતે અત્યંત પારદર્શક અને અદ્યતન મતદાર યાદી તૈયાર થશે, જે લોકશાહીના પાયાને વધુ મજબૂત બનાવશે. અધિકારીઓને 'મિશન મોડ'માં કામ કરવા આદેશ ચૂંટણી પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવા માટે બાકી રહેલી હિયરીંગ, નોટિસ બજવણી અને નવી મતદાર નોંધણીની કામગીરી ચોકસાઈપૂર્વક પૂર્ણ કરવા માર્ગદર્શન અપાયું હતું. તમામ અધિકારીઓને આ કામગીરી ‘મિશન મોડ’માં હાથ ધરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા કડક સૂચના આપવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રની સજ્જતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. સૌરભ પારધીએ સુરત જિલ્લામાં ડ્રાફ્ટ રોલ અંગે થયેલી પ્રગતિથી ઓબ્ઝર્વરને વાકેફ કર્યા હતા. તેમણે ખાતરી આપી હતી કે વહીવટી તંત્ર દ્વારા દરેક લાયક નાગરિકનો સમાવેશ થાય તેવી ક્ષતિરહિત યાદી બનાવવાનું કાર્ય સુનિયોજિત રીતે ચાલી રહ્યું છે. આ બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અશોક ચૌધરી, પાલિકા ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચ સહિત તમામ 16 વિધાનસભાના રિટર્નિંગ ઓફિસરો હાજર રહ્યા હતા.
માછીમાર સેલ ગુજરાત પ્રદેશના કન્વીનર મહેન્દ્રભાઈ જુંગીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મુલાકાત 2026ના રાજ્ય બજેટમાં માછીમારોના સૂચનોનો વધુમાં વધુ સમાવેશ કરવા અંગે રજૂઆત કરવા માટે કરવામાં આવી હતી. મહેન્દ્રભાઈ જુંગીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી સાથે પારિવારિક વાતાવરણમાં બેસીને 2026ના બજેટમાં માછીમારોના સૂચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે અગાઉથી જ સમગ્ર ગુજરાતના માછીમાર આગેવાનો પાસેથી મળેલા સૂચનોનું સંકલન કરીને મુખ્યમંત્રીને મોકલ્યા હતા. મુખ્યમંત્રીએ આ સૂચનો વાંચ્યા હતા અને વધુમાં વધુ સૂચનોનો અમલ થાય તેવું આશ્વાસન આપ્યું હતું. તેમણે માછીમારોના હિત માટે ખાસ સમય ફાળવ્યો હતો અને અનેક સૂચનો પર ચિંતન કર્યું હતું. મુખ્યમંત્રીએ માછીમારોના જીવનધોરણ અને આજીવિકા માટે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માછીમાર સુધી પહોંચે તે માટે તેઓ અગ્રેસર રહેશે.આ ઉપરાંત, તેમણે માછીમારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને વ્યસનથી દૂર રહે તેવી પણ ચિંતા વ્યક્ત કરી હતી.
નવસારી શહેરના દરગાહ રોડ વિસ્તારમાં રહેતી એક 20 વર્ષીય પરણીતાએ તેના પતિ વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગંભીર ફરિયાદ નોંધાવી છે. પતિના મોબાઈલમાં અન્ય યુવતીના ફોટા જોઈ જતા થયેલા ઝઘડામાં પતિએ પત્નીને ઢીકમુક્કીનો માર મારી, પુત્રી સાથે નદીમાં ફેંકી દેવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના નવસારીના દરગાહ રોડ પર આવેલા શુકુન એપાર્ટમેન્ટમાં રહેતી અનીશા (નામ બદલેલ છે) સાથે બની હતી. અનીશાના લગ્ન શાબાન કમરૂદ્દીન શાહ સાથે થયા હતા, જે અલીફનગર વિસ્તારમાં દુકાન ચલાવે છે. ગઈકાલે, 29 જાન્યુઆરીના રોજ બપોરના સમયે અનીશા તેના પતિની દુકાને ગઈ હતી. ત્યાં તેણે પતિના મોબાઈલ ફોનમાં અન્ય એક યુવતી સાથેના ફોટા જોઈ લીધા, જેના કારણે પતિ-પત્ની વચ્ચે વિવાદ શરૂ થયો હતો. ફરિયાદ મુજબ, ફોટા બાબતે પૂછપરછ કરતા શાબાન ઉશ્કેરાઈ ગયો હતો. તેણે પત્નીને અપશબ્દો બોલી અને ઢીકામુક્કીનો માર માર્યો હતો. શાબાને પત્નીને ધમકી આપી હતી કે, મેં તને મારેલ છે તે વાત કોઈને કહેતી નહીં, જો કોઈને કહીશ તો પુત્રીને ફેંકી દઈશ. આટલેથી ન અટકતા, શાબાન તેની પત્ની અને પુત્રીને વિરાવળ નદીના પુલ પાસે લઈ ગયો હતો. પુલ પાસે પહોંચી તેણે પત્ની અને પુત્રીને નદીમાં નાખી દેવાની અને પોતે પણ નદીમાં પડી જશે તેવી ધમકીઓ આપી હતી. પતિના સતત ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીથી ભયભીત થયેલી પત્નીએ અંતે મોડી રાત્રે 11:30 કલાકે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વી.પી. ચૌધરીએ આરોપી શાબાન કમરૂદ્દીન શાહ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 115(2), 351(3) અને 352 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુપ્રીમ કોર્ટના નિર્દેશોને આધારે ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી લેવામાં આવી છે. આ અરજી રામસર સાઈટ અને વેટલેન્ડની જાળવણીને લગતી છે. કોર્ટ મિત્રે જણાવ્યું હતું કે, વર્ષ 2018માં હાઇકોર્ટમાં આ મુદ્દે સુઓ મોટો અરજી લેવામાં આવી હતી. તે નળ સરોવર રામસર સાઈડને લગતી હતી. સુપ્રીમ કોર્ટે દેશના વિભિન્ન સ્થળોએ આવેલ રામસર સાઈટની જાળવણીને લઈને એક વિસ્તૃત હુકમ આપ્યો છે. જે મુજબ ભારતની દરેક રામસર સાઈટની યોગ્ય જાળવણી થઈ રહી છે કે કેમ ? તે અંગે જે તે વિસ્તારની હાઈકોર્ટ સુઓ મોટો અરજી લેશે. નડા બેટ ભારતનું સૌથી મોટું વેટ લેન્ડ છેસુપ્રીમ કોર્ટના આ વિસ્તૃત હુકમમાં દેશની રામસર સાઇડનું લિસ્ટ આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના નળ સરોવર, વઢવાણ, થોળ અને ખીજડીયા રામસર સાઇડનો સમાવેશ થાય છે. નડા બેટ ભારતનું સૌથી મોટું વેટ લેન્ડ છે, જે ભારત અને પાકિસ્તાન બનેમાં વિસ્તૃત છે. કોર્ટે કહ્યું હતું કે, બોટિંગને લઈને જે નવા નિયમો રાજ્ય સરકારે બનાવ્યા છે, તેમાં નળસરોવરનો અહેવાલ પણ આવ્યો છે, ત્યાં બધું બરોબર છે. ખીજડીયા રામસર સાઇટની ચીફ જજે મુલાકાત લીધી હતી તે પણ બરોબર છે. કોર્ટે લોકલ અધિકારીઓ અને લોકો સાથે વાત કરી અહેવાલ માંગ્યો હતોકોર્ટ મિત્રે અગાઉ નળ સરોવરની મુલાકાત લીધી હતી. કોર્ટે કોર્ટ મિત્રને આ તમામ રામસર સાઈટ અને નડાબેટ વેટલેન્ડ ઉપર જઈને ચેક કરીને રિપોર્ટ આપવા હુકમ કર્યો હતો. વર્ષ 2010માં ઈસરોએ ભારતની રામસર સાઈટનો મેપ તૈયાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને રામસર સાઈટ અંગે સુનવણી હાથ ધરીને અહેવાલ આપવા 3 મહિનાનો સમય આપ્યો છે. કોર્ટ મિત્રએ વેટ લેન્ડને સિંચાઇના પાણીથી ભરાતો હોવાના મીડિયા અહેવાલ અંગે જણાવ્યું હતું. જેથી, વેટ લેન્ડની બાયો ડાઈવર્સિટીને નુકસાન થતું હોવાનું જણાવ્યું હતું. જોકે, કોર્ટે મીડિયા રીપોર્ટ અવગણીને લોકલ અધિકારીઓ અને લોકો સાથે વાત કરી અહેવાલ માંગ્યો હતો. નડાબેટનો રીપોર્ટ રજૂ કરવા માટે સમય માંગવામાં આવ્યો આજે આ બાબતે સરકારી વકીલે પ્રિન્સિપાલ ચીફ કંઝરવેશન ઓફ ફોરેસ્ટની એફિડેવિટ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. જેમાં જણાવાયું છે કે રામસર સાઇટ ઉપર તપાસ કરવામાં આવી છે. ગુજરાત સ્ટેટ વેટલેન્ડ ઓથોરિટીની પર્યાવરણ મંત્રીના અધ્યક્ષ સ્થાને ત્રીજી મિટિંગ યોજાઈ હતી. વર્તમાન રીપોર્ટ નળ સરોવર અને થોળ સાઇટને લઈને આવ્યો છે. જ્યારે નડાબેટનો રીપોર્ટ રજૂ કરવા માટે સમય માંગવામાં આવ્યો છે. અહીં પ્લાસ્ટિક પર ગિરનારની પર્વતની જેમ પ્રતિબંધ મૂકવો જોઈએકોર્ટને જણાવાયું હતું કે, તમામ રામસર સાઇટ અને ઈકો સેન્સિટીવ ઝોનમાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકાયો છે, સાઈન બોર્ડ લગાવ્યા છે, કચરાપેટી મુકાઈ છે, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે વ્યવસ્થા કરાઈ રહી છે. જોકે, કોર્ટે કહ્યું હતું કે આ પૂરતું નથી, આ ઈકો સેન્સિટીવ ઝોન છે, અહીં પ્લાસ્ટિક ઉપર ગિરનારની પર્વતની જેમ પ્રતિબંધ મૂકવો જોઈએ. દરેક પર્યટકો જે નળ સરોવર આવતા હોય તેમના માટે પ્લાસ્ટિક બોટલ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. હોડી ચાલકોને લાયસન્સ-યુનિફોર્મ આપો જેથી તેને ઓળખી શકાયચીફ જજે જાતે નળસરોવમાં જોયું છે કે, ત્યાં પ્લાસ્ટિકની બોટલો, નાસ્તાના પડીકા અને ગુટખાના પડીકા લઈને લોકો આવે છે. આ પર્યટન સ્થળ નથી. તમે ઈકો સેન્સિટીવ ઝોનમાં ખોરાક લઈને જઈ શકો નહીં. નાસ્તો કરવા માટે અલગ વિસ્તાર જાહેર કરો. નાસ્તો, પ્લાસ્ટિક, થર્મોકલ, ડિસ્પોઝેબલ ઉપર અહીં પ્રતિબંધ મૂકો. ગીર ફોરેસ્ટ વિસ્તાર જેવી નીતિ અમલમાં મૂકો. રામસર સાઇટમાં બોટિંગ એ ગીરમાં સફારી કરવા બરાબર છે એટલે નિયમો પણ એવા હોવા જોઈએ. સાઇટની આસપાસ વ્યવસાય કરતા લોકોને કાઢવાના નથી પણ એમને યોગ્ય જગ્યા ફાળવો. બોટિંગ પ્રવૃતિઓને નિયમન કરો, હોડી ચાલકો પાસેથી ચાર્જ લેવાની કોઈ જરૂર નથી, પરંતુ તેમને લાયસન્સ આપો, યોગ્ય યુનિફોર્મ આપો જેથી તેઓને ઓળખી શકાય. તમામ વિભાગોને સાથે રાખી હાઈ લેવલ કમિટી બનાવોકોર્ટ મિત્રએ કહ્યું હતું કે, તે જાતે આ સાઇટ ઉપર ગયા હતા. ત્યાં કેટલીક બાઉન્ડ્રી વોલ તૂટેલી છે. લોકો ગેરકાનૂની ઘૂસીને માછીમારી કરી છે. હાઇકોર્ટે કહ્યું હતું કે, અહીં માછીમારી ઉપર પ્રતિબંધ છે, ચેકીંગ પોઇન્ટ મૂકો. તમે પ્લાસ્ટિક, બોટિંગ વગેરેને લઈને પ્લાન બનાવો પછી ફાઇનલ નિર્દેશ કોર્ટ આપશે. કેવી રીતે તમે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકશો અને બોટિંગની પ્રવૃતિ કેવી રીતે રેગ્યુલેટ કરશો ? તેને એન્ટ્રી ફ્રી ઝોન રાખી શકો નહીં, ચેક પોઇન્ટ ગોઠવો. તમે કેમેરા લગાવવાની વાત કરી છે તે સારો વિચાર છે. ચીફ સેક્રેટરીએ વન વિભાગ, સરદાર સરોવર નિગમ, મત્સ્ય વિભાગ વગેરેને સાથે રાખી હાઈ લેવલ કમિટી બનાવે. જેથી નદીનું પાણી અને કેનાલનું પાણી રામસર સાઇટમાં ન આવે. આ વરસાદના પાણીથી ભરાતું કુદરતી સરોવર છે, જે અમુક સમય પછી સુકાઈ જાય છે. આગામી સમયમાં વધુ સુનવણી યોજાશેગીર ફાઉન્ડેશનનું કામ સાઇટ્સની હેબિટેશનની ક્વોલિટી જાળવવાનું. થોળ પક્ષી અભયારણના રીપોર્ટમાં કેમિકલ કચરો ડિસ્ચાર્જ થતો હોવાનું સામે આવ્યું છે. જેમાં GPCB નો રિપોર્ટ વન વિભાગે મંગાવ્યો છે, કોર્ટે પણ મંગાવ્યો છે. થોળનુ મેનેજમેન્ટ વનવિભાગ અંતર્ગત આવે છે, જે કેન્દ્ર સરકારમાં આવે છે. રાજ્યના વિભાગ તેની સાથે સમન્વય કરતા નથી, આ પાવર ગેમ એટલે ચીફ સેક્રેટરી દ્વારા મોનીટરીંગ કમિટીની રચના કરવી જરૂરી છે. આ મુદ્દે આગામી સમયમાં વધુ સુનવણી યોજાશે.
30 જાન્યુઆરી એટલે ભારત માતાના કાજે પ્રાણ ન્યોછાવર કરનાર વીરોને નમન કરવાનો દિવસ. આ અવસરે નડિયાદની વિધિ જાદવે બલિદાનના આદર્શોને માત્ર વાતોમાં નહીં, પણ કાર્યમાં ચરિતાર્થ કર્યા છે. તેમણે દેશના સપૂતો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી માનવતાનું વિરાટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડોડા અકસ્માતના શહીદોને આર્થિક સહયોગ ગઈ 23 જાન્યુઆરી 2026ના રોજ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં એક કરુણ ઘટના ઘટી હતી. ચંબા આંતરરાજ્ય માર્ગ પર 9000 ફૂટની ઊંચાઈએ આતંકવાદી વિરોધી કામગીરી દરમિયાન સેનાનું વાહન ખીણમાં ખાબક્યું હતું. આ દુર્ઘટનામાં દેશના 10 વીર જવાનોએ જીવ ગુમાવ્યો હતો. આ શહીદોના પરિવારોની વ્હારે આવતા વિધિ જાદવે પ્રત્યેક પરિવારને સાંત્વના પત્ર પાઠવ્યો છે. સાથોસાથ, તેમણે તમામ 10 શહીદ પરિવારોને રૂ. 5000ની આર્થિક સહાય અર્પણ કરી દેશભક્તિની મિસાલ કાયમ કરી છે.
આદ્યશક્તિ માં અંબાના પવિત્ર ધામ અંબાજી ખાતે આયોજિત 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સહભાગી થવા માટે ગાંધીનગર શહેરના શ્રદ્ધાળુઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ વિશેષ સેવામાં આજે વહેલી સવારે શહેરના તમામ વોર્ડમાંથી કુલ 15 બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વહેલી સવારના સમયે સમગ્ર વાતાવરણ જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોમાં એક અનેરો આધ્યાત્મિક આનંદ જોવા મળ્યો હતો. 15 બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયુંઆદ્યશક્તિ માં અંબાના પવિત્ર ધામ અંબાજી ખાતે આયોજિત 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સહભાગી થવા માટે આજે 15 બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પવિત્ર યાત્રા અંગે માહિતી આપતા જિલ્લા કલેકટર મેહુલ દવેએ જણાવ્યું હતું કે, 51 શક્તિપીઠ પરિક્રમા એ આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ ઊંચું મહત્વ ધરાવે છે. આગામી દિવસોમાં વધુ બસની વ્યવસ્થા કરાશેગાંધીનગરના નાગરિકો કોઈપણ મુશ્કેલી વગર સુખરૂપ આ પરિક્રમા કરી શકે અને મા અંબાના આશીર્વાદ મેળવી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને કોર્પોરેશન હંમેશા તત્પર છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આગામી બે દિવસોમાં ગાંધીનગર જિલ્લાના અન્ય વિવિધ તાલુકાઓમાંથી પણ શ્રદ્ધાળુઓ માટે વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી વધુમાં વધુ લોકો આ મહોત્સવનો ભાગ બની શકે. સેક્ટર 4થી સૌથી વધુ 57 ભક્તો અંબાજી રવાનાઆજના દિવસે પ્રસ્થાન કરેલી 15 બસોમાં શહેરના વિવિધ સેક્ટરો અને ગામોમાંથી 550થી વધુ ભક્તો જોડાયા છે. જેમાં સેક્ટર 4ના અંબાજી મંદિર ખાતેથી સૌથી વધુ 57 ભક્તો, જ્યારે રાંધેજા અને સેક્ટર 30માંથી 52-52 ભક્તો રવાના થયા છે. આ ઉપરાંત સેક્ટર 3માંથી 48, ખોરજ અને કોબા રામજી મંદિર ખાતેથી 46-46, તેમજ વાવોલ-કોલવડા વિસ્તારના 43 ભક્તો આ યાત્રામાં જોડાયા છે. સેક્ટર 5 બી મહાકાળી મંદિર, ફતેપુરા, સેક્ટર 3 બી, સેક્ટર 14 અને સેક્ટર 6 જેવા વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. કુડાસણ અને ઝુંડાલ જેવા વિસ્તારોના ભક્તોને પણ આ સર્વસમાવેશક આયોજનમાં આવરી લેવામાં આવ્યા છે.
બોટાદ જિલ્લામાં શહીદ દિવસ નિમિત્તે દેશ માટે બલિદાન આપનાર મહાન શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. 30 જાન્યુઆરીના રોજ બોટાદ નગરપાલિકા સહિત જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ અવસરે મહાત્મા ગાંધીજી તથા દેશની સ્વતંત્રતા માટે પ્રાણોની આહુતિ આપનાર તમામ શહીદ વીરોને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ. બોટાદ નગરપાલિકા તેમજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળી શહીદોના બલિદાનને યાદ કર્યું. શહીદ દિવસના આ અવસરે દેશની એકતા, અખંડિતતા અને સ્વતંત્રતા માટે બલિદાન આપનાર મહાન શહીદોના આદર્શોને યાદ કરવામાં આવ્યા. તેમના માર્ગ પર ચાલવાની પ્રતિજ્ઞા પણ વ્યક્ત કરવામાં આવી હતી.

27 C