મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ઠંડા પવનો ફૂંકાવાને કારણે શિયાળાની ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. સંતરામપુર અને લુણાવાડા સહિતના અનેક તાલુકાઓમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. ધુમ્મસના કારણે મુખ્ય માર્ગો અને ગ્રામ્ય વિસ્તારોમાં વિઝિબિલિટી ઘણી ઓછી રહી હતી. વહેલી સવારે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દ્વિચક્રી વાહનચાલકો, એસટી બસો અને ખાનગી વાહનો ધીમી ગતિએ ચલાવવા પડ્યા હતા. ઘણા વિસ્તારોમાં વાહનવ્યવહાર હેડલાઇટ ચાલુ રાખીને કરવામાં આવ્યો હતો, જેના કારણે અકસ્માતની શક્યતાઓ અંગે ચિંતા જોવા મળી હતી. જિલ્લામાં ઠંડા પવનના ઝોકા પણ અનુભવાયા હતા, જેનાથી ઠંડી વધુ તીવ્ર બની હતી. સવારના સમયે લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં, સ્વેટર, જેકેટ અને મફલર પહેરીને બહાર નીકળ્યા હતા. ચા-કોફી અને ગરમ પીણાંની દુકાનો પર લોકોની ભીડ જોવા મળી હતી. શિયાળાની આ તીવ્ર ઠંડીની દૈનિક જીવન પર અસર પડી રહી છે. ખાસ કરીને વહેલી સવારમાં કામ પર જનારા લોકો, વિદ્યાર્થીઓ અને ખેતી કામ સાથે જોડાયેલા ખેડૂતોએ ઠંડીનો વધુ અનુભવ કર્યો હતો. ઠંડા પવનો અને ધુમ્મસને કારણે સવારના કલાકોમાં સામાન્ય જનજીવન થોડું ધીમું પડ્યું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી દિવસોમાં પણ જિલ્લામાં ઠંડીની અસર યથાવત રહેવાની શક્યતા છે.
ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ મથક વિસ્તારમાં વાહન ધીમે ચલાવવા બાબતે થયેલી બોલાચાલી બાદ ગંભીર મારામારીનો બનાવ સામે આવ્યો છે. ગતરાત્રીના કુંભારવાડા મોતીતળાવ કાદરી મસ્જિદ નજીક બનેલા બનાવમાં બન્ને પક્ષોએ એકબીજા સામે મારામારી કરી પથ્થર અને ઇંટોના ઘા માર્યાનો આરોપ છે, જેમાં મહિલાઓ સહિત અનેક લોકોને નાની-મોટી તથા કેટલીક ગંભીર ઇજાઓ પહોંચી છે. સમગ્ર ઘટનાને લઈને બોરતળાવ પોલીસે બન્ને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી છે. એક તરફ બાઇક સવાર ઝુબેર શેખ સહિત પાંચ ઈસમો સામે ફરિયાદ નોંધાઈ છે, તો બીજી તરફ શિવદંત શાહ સહિત અન્ય ઈસમો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ઘટનાના તમામ પાસાઓની તપાસ ચલાવી રહી છે. મોટર સાયકલ ધીમું ચલાવવા નું કહેતા મારામારીઆ બનાવ અંગે બોરતળાવ પોલિસ મથકેથી મળતી માહિતી મુજબ ફરીયાદી શિવદંત શાહ તથા રાજકુમાર બન્ને ફરીયાદી શિવદંત તેમના ઘરની બહાર બેઠા હતા અને કુતરાને બિસ્કીટ નાખતા હતા તે દરમ્યાન ઝુબેર મહેબુબભાઈ શેખ મોટર સાયકલ પુરઝડપે લઈને નિકળતા તેને મોટર સાયકલ ધીમું ચલાવવા નુ કહેતા ઝુબેર તથા અન્ય 4 ઈસમો દ્વારા ફરીયાદી શિવદંત શાહ તથા રાજકુમાર સાથે મારામારી કરવા લાગતા ફરીયાદીના પત્ની મંજુલાદેવી અને તેના સંબધી ગૌતમ શીવશંકર શાહની, અભિમાન્યુ શાહની, સત્યમ રાજકુમાર, અકીતયાદવ, ગોવિદ મલા, સંજુદેવી યાદવ વગેરે એ છુટા પથ્થર તથા ઇંટોના ઘા માર્યા હતાં. ફરીયાદી શિવદંત શાહ, અભિમાન્યુ ત્રીલોકનાથ, સત્યમ રાજકુમાર, અતિયાદવ, ગોવિદ મલા તથા સંજુદેવી યાદવ વગેરેને નાનામોટી ઇજા કરી તેમજ ફરીયાદીના પત્ની મંજુદેવીને તથા ગૌતમને ગંભીર ઇજા કરી હતી. સમગ્ર બનાવ અંગે બોરતળાવ પોલિસ મથકમાં બાઇક સવાર ઝુબેર શેખ, અનિશ ઉર્ફે સાહિલ પઠાણ, યાસીન શેખ, અખ્તર શેખ, હસન શેખ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ બનાવમાં સામસામા પક્ષ બોરતળાવ પોલિસે ફરિયાદ નોંધી છે. છુટા પથ્થર તથા ઇટોના ધા માર્યાજેમા સામા પક્ષે ફરીયાદી યાસીન શેખના બનેવીના બનેવી ઝુબેર મહેબુબભાઈ શેખ સાથે સામાવાળા શિવદંત શાહની તથા રાજકુમાર મોટર સાયકલ ફુલસ્પીડે ચલાવવા બાબતે બોલાચાલી કરતા ફરીયાદી યાસીન શેખ તથા તેનો ભાઈ અખ્તર તથા યાસીન ના બનેવી અનીસ ઉર્ફે સાહીલ તથા હસનભાઈ શેખ વગેરે જતા આ સામાવાળા શિવદંત શાહની તથા તેના સંબંધી રાજકુમાર શાહની, ગૌતમ શાહની, અભિમન્યું શાહની, ગોવિદ મલા તથા અજાણ્યા બેથી ત્રણ શખ્સોએ એક સંપે આવી ફરીયાદી તથા સાહેદ સાથે મારામારી સર્જી છુટા પથ્થર તથા ઇટોના ધા મારીને યાશીન,યાશીનના ભાઈને, યાસીન બનેવી, અનિશ ઉર્ફે સાહિલને તથા ઝુબેરને નાની મોટી ગંભીર ઇજા કરી. જે અંગે યાશીન શેખએ બોરતળાવ પોલિસ સ્ટેશનમાં શિવદંત શાહની, રાજકુમાર શાહની, ગૌતમ શાહની, અભિમન્યુ શાહની, ગોવિંદ મલા અને અન્ય બેથીત્રણ અજણાયા ઈસમો વિરુદ્ધ આ બનાવ અંગે પોલિસ ફરિયાદ નોંધાવી છે. બંને પક્ષની સામસામે ફરિયાદજોકે બોરતળાવ પોલિસે કુંભારવાડા મોતીતળાવ કાદરી મસ્જિદ નજીક થયેલ બન્ને પક્ષોની મારામારીમાં સામસામે ફરિયાદ નોંધી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ એક પેડ માં કે નામનો નારો લગાવી રહ્યા છે ત્યારે રાજકોટની કોટડાસાંગાણી સરકારી વિનયન કોલેજના આચાર્ય દ્વારા 12 વર્ષ જૂના 27 વૃક્ષોનું નિકંદન કાઢી નાખતા પર્યાવરણ પ્રેમીએ દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી સહિતનાને રજૂઆત કરી આચાર્યને સસ્પેન્ડ કરી વન સંરક્ષણ ધારા મૂજબ દંડ અને સજા કરવામાં આવે તેવી માંગણી કરી છે. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના કમિશનર ઓફ હાયર એજ્યુકેશનને રાજકોટના પર્યાવરણપ્રેમી જતીન જાનીએ રજૂઆત કરતા જણાવ્યું છે કે,એક ચિંતિત નાગરિક તરીકે રાજ્યની એક સરકારી કોલેજમાં થયેલી ગંભીર પર્યાવરણવિરોધી તથા ગુનાહિત ઘટનાની આપને જાણ કરવા તથા તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની દ્રઢ માંગ સાથે આ ફરિયાદ રજૂ કરું છું. તેમણે જણાવ્યુ હતુ કે, રાજકોટના કોટડાસાંગાણીની સરકારી ઠાકોર મૂળવાજી વિનયન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અલ્પેશ જોશી દ્વારા કોલેજ પરિસરમાં આવેલા આશરે 12 વર્ષ જૂના 27 પૂર્ણ વિકસિત સપ્તપર્ણી (Alstonia scholaris) વૃક્ષો કોઈપણ પ્રકારની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી કે અન્ય સક્ષમ સત્તાધિકારીની પૂર્વ પરવાનગી વિના તેમજ કોઈ તાત્કાલિક, સલામતી સંબંધિત કે પ્રશાસનિક કારણ વિના કપાવવામાં આવ્યા છે. આ કૃત્ય માત્ર પ્રશાસનિક બેદરકારી નહીં પરંતુ જાહેર સંપત્તિ તથા પર્યાવરણને થયેલું ગંભીર ગુનાહિત નુકસાન છે. જે બાદ પર્યાવરણપ્રેમીઓ દ્વારા વિરોધ થતાં આચાર્ય દ્વારા માત્ર એક ઔપચારિક માફી લખવામાં આવી (માફી પત્ર બીડેલ છે જેમાં 20 વૃક્ષો કાપ્યાની માફી છે જે ખોટું છે. હકીકતમાં 27 વૃક્ષો કપાયા છે) અને ઘટનાની છુપાવવા તાત્કાલિક નવા વૃક્ષો વાવવામાં આવ્યા. જે બાદ સત્તાના જોરે સમગ્ર મામલો દબાવી દેવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ છે. તેઓ રજૂઆતમાં વધુમાં જણાવે છે કે, અલ્પેશ જોશીની પહોચ ખૂબ ઉપર સુધી છે અને એના પર રાજકોટના એક કુખ્યાત ધર્મગુરૂનો હાથ છે. જેથી તેની સામે કોઈ અવાજ ઉઠાવતા ડરે છે. તપાસમાં હાલ નોકરી કરતા અધ્યાપકોને પૂછતાછ કરશો તો એ અલ્પેશ જોષીના ડરને કારણે સાચું નહીં બોલે પરંતુ ત્યાંથી બદલી થયેલા અધ્યાપકોને પૂછવાથી કદાચ સાચું બહાર આવે. તેમણે જણાવ્યું કે, એક બાજુ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એક પેડ માં કે નામનો નારો આપે છે અને બીજી બાજુ સરકારી કોલેજના આચાર્ય 12 વર્ષ જૂના 27 વૃક્ષોનો નાશ કરે છે. જેથી ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ ગુનાહિત કૃત્ય બદલ કલમ 379 (ચોરી) – જાહેર સંપત્તિ સમાન વૃક્ષોની ગેરકાયદેસર કાપણી, કલમ 425 તથા 427 (મિશ્રીફ) – જાહેર અને પર્યાવરણને નુકસાન, કલમ 441 તથા 447 (ક્રિમિનલ ટ્રેસપાસ) – અધિકારની સીમા બહાર જઈ કરાયેલ કાર્યવાહી, કલમ 409 (જાહેર સેવક દ્વારા વિશ્વાસભંગ) – સત્તાનો દુરુપયોગ, કલમ 166 (કાયદાનું ઉલ્લંઘન કરતો જાહેર સેવક)આ પ્રકારની કાપણી અપરાધ છે. જેને માત્ર માફી અથવા આંતરિક સમાધાન દ્વારા બંધ કરી શકાય નહીં. અંતમાં પર્યાવરણ પ્રેમીએ દ્રઢ અને સ્પષ્ટ માંગ કરી હતી કે, પ્રિન્સિપાલ વિરુદ્ધ IPC હેઠળ કોજદારી કેસ નોંધવામાં આવે, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, વન વિભાગ દ્વારા સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે (બીજી કોલેજના આચાર્ય દ્વારા નહી), પર્યાવરણ વળતર (Environmental Compensation) વસૂલવામાં આવે અને કાયદા મુજબ કારાવાસ તથા દંડ સહિતની કડક સજા ફટકારવામાં આવે. તેઓ જણાવે છે કે, કપાયેલા વૃક્ષોનો વિડિયો પણ મારી પાસે ઉપલબ્ધ છે. જો આવા કિસ્સાઓમાં નરમ વલણ અપનાવવામાં આવશે તો તે સંદેશ આપશે કે શૈક્ષણિક અને પ્રશાસનિક સત્તા ધરાવનાર વ્યક્તિઓ પર્યાવરણ કાયદા કરતાં ઉપર છે. જે કાયદા પાલન માટે અત્યંત ખતરનાક છે. શૈક્ષણિક સંસ્થાઓનો હેતુ મૂલ્યો, નૈતિકતા અને જાહેર સંસાધનોનું સંરક્ષણ કરવાનો છે – તેમનો વિનાશ કરવાનો નહીં. પર્યાવરણ પ્રેમીએ પોતાની રજૂઆત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી, મુખ્ય વન સંરક્ષક તેમજ શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને મોકલી આપી છે. આ અંગે કોલેજના આચાર્ય ડૉ.અલ્પેશ જોશીનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યુ હતુ કે, તમે રૂબરૂ આવો પછી આ અંગે વાત કરી. જોકે તેમણે વૃક્ષોના નિકંદન અંગે ફોન પર કારણ આપવાનું ટાળ્યુ હતુ.
મરતોલી ગામે પૂનમ ભરવા આવેલ યુવક સાથે કેટલાક શખ્સોએ બોલાચાલી કરી હુમલો કર્યો હતો. જેમાં યુવકને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હુમલાખોર 4 શખ્સો વિરુદ્ધ સાંથલ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. યુવક મરતોલી ગામે દર્શન કરવા આવ્યો હતોબેચરાજીના આસજોલ ગામે રહેતા જયદીપ ફતેહસંગ ઠાકોરની ફરિયાદ મુજબ તેઓ પૂનમના દિવસે પોતાના મિત્રો સાથે મરતોલી ગામે દર્શન કરવા ગયા હતા. જ્યાં દર્શન કરી ગામના એક પાર્લર પર તેઓ ઉભા હતા. ત્યાં બેચરાજીના રૂપપુરાના સંદીપ ટીનુભા ઝાલા નામનો શખ્સ અન્ય ૩ અજાણ્યા શખ્સો સાથે તેની પાસે આવ્યો હતો. જેને યુવકને પૂછ્યું કે, તું ક્યાં ગામનો છે અને કેવો છે તેમ પૂછતાં યુવકે પોતે આસજોલ ગામનો ચૌહાણ હોવાનું કહેતા સામેના શખ્સોએ તેની ફેટ પકડી ડરાવી દીધો હતો. 4 શખ્સોએ યુવકને ધોકા અને કડુથી મારમાર્યોજેથી યુવક ભયભીત થઈ ત્યાંથી જતો રહ્યો હતો. જોકે તે આસજોલ જુના નેડિયા બાજુ જતો હતો. ત્યારે ફરી એકવાર તેની પાછળ સંદીપ ઝાલા 3 અજાણ્યા શખ્સો સાથે આવી તેને માર મારવા ફરી વળ્યો હતો. કુલ 4 શખસોએ તેને ધોકા અને કડુથી મારા મારી ફરી અહીં આવતો નહિ તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. જ્યારે બનાવમાં ઈજાગ્રસ્ત યુવકે સારવાર લઈ સાંથલ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ આદરી હતી.
રાપરના ખીરઈ નજીક પાબુદાદા મંદિરમાં તોડફોડ:અસામાજિક તત્વો દ્વારા મૂર્તિઓ ખંડિત કરાતા પોલીસ તપાસ શરૂ
રાપર તાલુકાના ખીરઈ ગામ નજીક આવેલા પાબુદાદાના મંદિરમાં અસામાજિક તત્વો દ્વારા મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અસામાજિક તત્વોએ મંદિરમાં પાબુદાદાની અનેક મૂર્તિઓને ખંડિત કરી હતી. આ કૃત્ય પાછળ કોમી એકતા તોડવાનો ઇરાદો હોવાનું મનાય છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામોના આગેવાનો, ધર્મપ્રેમીઓ અને રાપર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી. બુબડીયા તાત્કાલિક મંદિરે પહોંચ્યા હતા. તેમની સાથે તાલુકા પંચાયતના માજી પ્રમુખ હમીરજી સોઢા, ગૌ સેવક જગુભા જાડેજા અને લાલુભા જાડેજા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. પીઆઈ જે.બી. બુબડીયાએ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. આ મામલે ફરિયાદ નોંધાવવાની તજવીજ ચાલી રહી છે. આ બનાવને પગલે આસપાસના વિસ્તારમાં લોકોમાં ભારે રોષ અને ઉશ્કેરાટ જોવા મળ્યો હતો.
દહેગામ પોલીસ સ્ટેશનની ટીમે મધરાતે હાઈવે પર એક ઓપરેશન પાર પાડીને વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ઉત્તર પ્રદેશના એક બુટલેગરને ઝડપી પાડ્યો છે. પોલીસને જોઈને પીકઅપ ડાલાના ચાલકે વાહન ભગાવ્યું હતું, જેનો પોલીસે પીછો કરી મહાવીર ફાર્મ પાસે બુટલેગરને ઝડપી પાડતા તેની પાસેથી 15 લાખની કિંમતનો હરિયાણાનો દારૂ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોધી દારૂ સહિત 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દહેગામથી કપડવંજ જતા દારૂનું પીકઅપ ડાલું ઝડપાયું દહેગામ પોલીસે બાતમીના આધારે હાઈવે પર વોચ ગોઠવીને વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ પસાર થતી પીકઅપ ગાડીને ઝડપી પાડી છે. પોલીસને જોઈને બુટલેગરે વાહન ભગાવતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી તેને આંતરી લીધો હતો. દહેગામ પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.એન. દેસાઈને બાતમી મળી હતી કે, એક સફેદ કલરની બંધ બોડીની મારુતિ સુપર કેરી પીકઅપ (નંબર GJ-18.BV.3347) વિદેશી દારૂ ભરીને દહેગામથી કપડવંજ રોડ તરફ જવાની છે. હરખજીના મુવાડા ગામ પાસેના ફાર્મ પાસેથી પકડ્યોઆ બાતમીના આધારે પોલીસની અલગ-અલગ ટીમોએ હરસોલી ચોકડી વોચ ગોઠવી હતી. ત્યારે બાતમી મુજબનું વાહન આવતા પોલીસે તેને ઉભા રહેવા ઈશારો કર્યો હતો, પરંતુ ચાલકે વાહન ઉભું રાખવાને બદલે હાઈવે પર પૂરઝડપે હંકારી મૂક્યું હતું. આથી પોલીસે ખાનગી વાહનોમાં તેનો પીછો કર્યો અને હરખજીના મુવાડા ગામ પાસે મહાવીર ફાર્મ સામે આડશ ઉભી કરી ગાડીને રોકી દીધી હતી. અલીગઢનો બુટલેગર ઝડપાયોજોકે ગાડી ઉભી રહેતા જ ચાલકે ઉતરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે કોર્ડન કરી તેને પકડી પાડ્યો હતો. જેને ભાગવા જતાં જમણા પગે સામાન્ય ઈજા પણ પહોંચી હતી. બાદમાં પકડાયેલા શખ્સનું નામ પૂછતા તેણે પોતાનું નામ દિગંબર સિંહ ઉર્ફે ભુરો જહાનસિંહ જાટ (રહે. અલીગઢ, ઉત્તરપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. 3744 નંગ નાની મોટી દારૂની બોટલો જપ્ત કરીત્યારે રાત્રિનો સમય અને હાઈવે પર ટ્રાફિક હોવાથી પોલીસ ગાડીને દહેગામ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં ગણતરી કરતા 15 લાખની કિંમતની કુલ 3 હજાર 744 નંગ નાની મોટી દારૂની બોટલો મળી આવી હતી. આ અંગે પોલીસે દારૂનો જથ્થો સહિત કુલ રૂ.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર વિરુધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સયાજી હોસ્પિટલમાં દાખલ ભરતભાઈ પઢિયારે જણાવ્યું હતું કે, અમારા ગામમાં પંચાયતમાં ભ્રષ્ટાચાર થયેલો, એટલે મેં આઠ-દસ દિવસ પહેલા જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર અને મુખ્યમંત્રીને અરજી કરી હતી. આટલી બધી જગ્યાએ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ન્યાય ન મળ્યો, તેથી અમે મીડિયામાં આ અંગેનું નિવેદન આપ્યું હતું. જે દિવસે નિવેદન આપ્યું, તે જ દિવસે સરપંચના પતિ તરફથી મને ધમકી આપવામાં આવી. બીજા દિવસે પણ અન્ય લોકો દ્વારા ધમકીઓ અને સંદેશા મોકલાવવામાં આવ્યા કે 'તમને જીવતા નહીં છોડીએ', તેના પછીના દિવસે મારે ઘરે ભજનનો કાર્યક્રમ હતો, એટલે હું દળણું દળાવવા માટે ગયો હતો. ત્યાં અચાનક સરપંચ કોકિલાબેન, તેમના પતિ દિનેશભાઈ, પુત્ર નિલેશભાઈ, રાજેશભાઈ અને તેમનો એક ભત્રીજો ઈકો ગાડી લઈને આવ્યા હતા. તેમણે મને ગડદાપાટુનો માર માર્યો. માર મારતા મારતા તેઓ મને ગામની વચ્ચે લઈ ગયા. ત્યાં કોકિલાબેને મને પકડી રાખ્યો, નિલેશભાઈએ મારા પર પેટ્રોલ છાંટ્યું અને રાજેશભાઈએ દિવાસળી ચાંપી દીધી હતી. દિનેશભાઈએ મને લાત મારીને પાડી દીધો અને પછી મને આગ લગાડીને તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. શું છે સમગ્ર ઘટના?આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામના મહિલા સરપંચ તેમજ તેમના પરિવારે મુખ્યમંત્રીને ભ્રષ્ટાચારની ફરિયાદ કરનારા શખસને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. હાલ ખેડૂતને વડોદરા ની સયાજી હોસ્પિટલમાં સારા માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક છે. આંકલાવ તાલુકાના અંબાવના અમરાદેવ મંદિર પાછળ 51 વર્ષીય ભરતભાઈ ફૂલસિંહ પઢીયાર રહે છે. તેઓએ અગાઉ ગામમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અંગેની જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, વિકાસ કમિશ્નર અને મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી. આ બાબતને લઈને તેમને ગામના મહિલા સરપંચ કોકિલા દિનેશ પઢીયાર સાથે ચડભડ ચાલતી હતી. આ દરમિયાન, ગત 4 જાન્યુઆરીના રોજ તેમના ઘરે ભજનનો કાર્યક્રમ હોય તેઓ ગામના એક વિસ્તારમાં કેટલીક બહેનોને જમવાના વાસણ ધોવાના હોય તે કહેવા માટે ગયા હતા. એ સમયે કાર લઈને મહિલા સરપંચ કોકિલા, ઉપરાંત તેમનો પતિ દિનેશ ચંદુ પઢીયાર, પુત્ર નિલેશ દિનેશ પઢીયાર, રાજેશ ઉર્ફે પોપટ દિનેશ પઢીયાર અને સરપંચનો ભત્રીજો અને અશોકભાઈનો ભત્રીજો સ્થળે આવી પહોંચ્યા હતા. તેમણે કારમાં ઉતર્યા બાદ ગમે તેમ અપશબ્દ બોલી, જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી અને અમારા વિરૂદ્ધ ભ્રષ્ટાચારની અરજીઓ કેમ કરે છે તેમ કહીને બોલાચાલી કરી હતી. જોકે, એ સમયે ભરતભાઈએ ભ્રષ્ટાચાર કર્યો છે એમાં શું નવાઈની વાત છે? તેમ કહેતાં જ તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. ઉશ્કેરાયેલા પાંચેય જણાં ભેગા થઈને તેની સાથે ઝપાઝપી કરી મારામારી કરવા લાગ્યા હતા. એ પછી સરપંચનો મોટો દીકરો નિલેશ ગાડીમાંથી ગેલેન ભરેલું પેટ્રોલ કાઢી લાવ્યો હતો અને શખસ પર છાંટટ્યું હતું અને દીવાસળીની કાંડી ચાંપી હતી. જેને પગલે શખસ સળગવા લાગ્યો હતો. જોકે, એ સમયે આસપાસના લોકો અને શખસના પુત્રો આવી પહોંચતા જ તેમને બચાવી લીધા હતા. આ દરમિયાન, શખસોએ અમારા કામમાં ખોટી દખલગીરી કરવી નહીં, નહીં તો પિક્ચર પૂરું કરી દઈશું તેમ ધમકીઓ આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. દાઝેલી હાલતમાં ભરતભાઈને આંકલાવની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ભરતભાઈની સ્થિતિ હાલ નાજુક છે. આ મામલે આંકલાવ પોલીસે સરપંચ સહિત કુલ પાંચ વિરૂદ્ધ મારામારી, હત્યાના પ્રયાસની ક્લમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આરોપીના નામ
જામનગરના રણજીતનગર સ્થિત પટેલ સમાજ ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિની એકતા, સંસ્કૃતિ અને ગૌરવના પ્રતીક સમા આ 'ત્રિવેણી સંગમ' કાર્યક્રમમાં અંદાજે 52,000થી વધુ જ્ઞાતિજનો ઉમટી પડ્યા હતા, જેણે લેઉવા પટેલ સમાજની અતૂટ સંગઠન શક્તિનો પરિચય કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં મહારાસ, સામાજિક સન્માન અને સમૂહ ભોજનનો સમાવેશ થતો હતો. સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડિયાએ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત તારીખ 03-01-2026ના રોજ ભવ્ય મહારાસનું આયોજન કરાયું હતું. જેમાં સમગ્ર જિલ્લામાંથી હજારોની સંખ્યામાં ભાઈઓ-બહેનોએ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રાત્રિનું મુખ્ય આકર્ષણ જામનગરની વિશ્વ વિખ્યાત 'પટેલ યુવક ગરબી મંડળ' દ્વારા રજૂ કરવામાં આવેલો અદભૂત મસાલ રાસ રહ્યો હતો. તારીખ 04-01-2026ના રોજ યોજાયેલા મુખ્ય સમારોહમાં રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ધારાસભ્ય રમેશભાઈ ટીલારા, દિવ્યેશભાઈ અકબરી સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. લેઉવા પટેલ સમાજ દ્વારા આ નવનિયુક્ત મંત્રીઓનું જામનગરની ધરતી પર ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ અને રમેશભાઈ મુંગરા સહિતના સમાજના અને રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, અન્ન ભેગા એના મન ભેગાના ભાવ સાથે પાટીદાર સમાજ આજે અન્ય સમાજોને પણ સાથે રાખીને દેશને વિકાસની નવી રાહ ચીંધી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ સંગઠિત શક્તિ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નવા આયામો સર કરશે. સમાજની ઉન્નતિ માટે ઉદાર હાથે ફાળો આપનાર દાતાઓનું પણ આ તકે મહાનુભવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. આ માતબર ફાળો આગામી સમયમાં સમાજ ભવનો અને અન્ય સામાજિક સુવિધાઓના નિર્માણ માટે ઉપયોગમાં લેવામાં આવશે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત 52,000 જેટલા જ્ઞાતિજનો માટે સમૂહ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે લેઉવા પટેલ સમાજ જામનગરના પ્રમુખ મનસુખભાઈ રાબડિયા, હોદ્દેદારો અને સેંકડો સ્વયંસેવકોએ રાત-દિવસ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, ચેમ્બર્સ ઓફ કોમર્સના રમણીકભાઈ અકબરી જીઆઇડીસી ફ્રેસ-2 ના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, ફેક્ટરી ઓનર્સ પ્રમુખ રામજીભાઈ ગઢીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.વિનુભાઈ ભંડેરી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયા, મંત્રી અશોકભાઈ ચોવટીયા ઉપપ્રમુખ કૈલાશભાઈ રામોલિયા, મનસુખભાઈ ભંડેરી, સહમંત્રી રમેશભાઈ વેકરીયા અને ખજાનચી કિશોરભાઈ સંઘાણી, સહિત સમાજની કારોબારી સભ્યો તેમ જ સામાજિક રાજકીય સહિતના હજારોની સંખ્યામાં લેઉવા પટેલ સમાજના જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા
થાનગઢમાં ગેરકાયદેસર કોલસાના કૂવા બુરાણ શરૂ:નાયબ કલેક્ટર અને મામલતદારની ટીમે કાર્યવાહી કરી
થાનગઢ તાલુકાના વેલાળા ગામમાં ગેરકાયદેસર કોલસાના કૂવાનું બુરાણ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢના મામલતદારની સંયુક્ત ટીમે આ કામગીરી હાથ ધરી છે. આ કાર્યવાહી ચોટીલા સબ ડિવિઝન હેઠળના વેલાળા ગામમાં આવેલા તમામ ગેરકાયદેસર કોલસાના કૂવાઓ પર કરવામાં આવી રહી છે. બુરાણ માટે લોડર મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગેરકાયદેસર કોલસાના કૂવાઓનું બુરાણ કરવાની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
ભરૂચના ગામોના વિકાસ માટે રૂ.32.45 કરોડ મંજૂર:GIDC સમિતિએ 6 નિર્દિષ્ટ વિસ્તારોના કામોને આપી મંજૂરી
ભરૂચ જિલ્લાના નિર્દિષ્ટ વિસ્તારોમાં ગ્રામીણ વિકાસ માટે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC)ની સર્વગ્રાહી વિકાસ સમિતિ દ્વારા રૂ. 32.45 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં લેવાયો હતો. આ ભંડોળ અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, ભરૂચ, પાલેજ અને વાલિયા સહિતના 6 નિર્દિષ્ટ ઔદ્યોગિક વિસ્તારોની હદમાં આવતા ગામોના સર્વાંગી વિકાસ માટે ફાળવવામાં આવ્યું છે. તેનો ઉપયોગ રોડ-રસ્તા, પીવાનું પાણી, વીજળી, આરોગ્ય, ગટર વ્યવસ્થા અને શૈક્ષણિક સુવિધાઓ જેવી પાયાની માળખાગત સુવિધાઓને મજબૂત કરવા માટે થશે. જિલ્લા કલેક્ટરે તમામ વિકાસ કાર્યો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને અધિકારીઓને સમયાંતરે ફિલ્ડ વિઝીટ કરીને કામગીરીની ચકાસણી કરવા સૂચના આપી હતી. આ કાર્યો જનહિતમાં ઝડપથી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાએ આ મંજૂર થયેલા વિકાસ કાર્યોને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણયથી ગ્રામીણ અને ઔદ્યોગિક વિસ્તારો વચ્ચેનું અંતર ઘટશે અને સ્થાનિક નાગરિકોના જીવનધોરણમાં સુધારો થશે. ઉલ્લેખનીય છે કે GIDC દ્વારા ઉઘરાવવામાં આવતા સંકલિત વેરાના 33 ટકા હિસ્સાનો ઉપયોગ નિર્દિષ્ટ વિસ્તારોની હદમાં આવેલા ગામોના વિકાસ માટે કરવામાં આવે છે. આ બેઠકમાં GIDCના અધિકારીઓ અને સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા. મંજૂર થયેલા ખર્ચની વિગત નીચે મુજબ છે: ભરૂચ – રૂ. 2.11 કરોડ, અંકલેશ્વર – રૂ. 9.90 કરોડ, પાનોલી – રૂ. 10.46 કરોડ, ઝઘડિયા – રૂ. 8.69 કરોડ, પાલેજ – રૂ. 0.89 કરોડ, વાલિયા – રૂ. 0.40 કરોડ..
ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા, મુળી મામલતદાર અને પી.જી.વી.સી.એલ. મુળીની સંયુક્ત ટીમે ખંપાળીયા ગામના સરકારી સર્વે નંબર 50 અને 161 વાળી જમીનની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ સ્થળેથી ગેરકાયદેસર કોલસા ખનન પ્રવૃત્તિમાં વપરાતા 7 ટ્રાન્સફોર્મર (ટી.સી.) ઉતારી જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ગેરકાયદેસર કોલસા ખનન સામે કરવામાં આવી છે. છ મહિના પહેલા પણ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાએ તેમની ટીમ સાથે આ જ સરકારી જમીન પર આકસ્મિક દરોડા પાડ્યા હતા. તે સમયે નીચે મુજબના વ્યક્તિઓ દ્વારા ગેરકાયદેસર કોલસાનું ખનન કરવામાં આવતું હોવાનું જણાયું હતું: (1) ખોડાભાઇ લીંબાભાઇ રબારી(2) આલાભાઇ લીંબાભાઇ રબારી(3) પ્રભુભાઇ ઘુસાભાઇ કોળી(4) જેમાભાઇ હરજીભાઇ બાવળીયા(5) પેમાભાઇ હરજીભાઇ બાવળીયા(6) ખીમાભાઇ મેરુભાઇ રબારી(7) મેરુભાઇ રામાભાઇ રબારી(8) ગોવિંદભાઇ લાખાભાઇ રબારી(9) રાજાભાઇ લાખાભાઇ રબારી(10) મંગાભાઇ કાનાભાઇ બાવળીયા(11) ભીમાભાઇ ભરવાડ ઉપરોક્ત ઇસમો દ્વારા સરકારી જમીનમાં ગેરકાયદેસર કોલસાનું ખનન કરીને સરકારી મિલકતને મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. વર્તમાન મુલાકાત દરમિયાન, સ્થળ પર કેટલું ખનન થયું છે અને કેટલું ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે તેની પણ ચકાસણી કરવામાં આવી હતી. તમામ સંડોવાયેલા ઇસમો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરના સાનિધ્યમાં સૂચિત 'સોમનાથ કોરિડોર' પ્રોજેક્ટ સામે સ્થાનિકોનો વિરોધ દિન-પ્રતિદિન ઉગ્ર બની રહ્યો છે. રવિવારે (04 જાન્યુઆરી) રાત્રે પ્રભાસ પાટણના બ્રહ્મપુરી ખાતે 'પ્રભાસ હિત રક્ષક સમિતિ'ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં અસરગ્રસ્તોએ તંત્રની નીતિઓ સામે ભારે આક્રોશ ઠાલવતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, અમને કોરિડોર મંજૂર નથી. સમિતિનો તંત્ર પર એકતા તોડવાનો આરોપબેઠકમાં ઉપસ્થિત વિવિધ સમાજના આગેવાનો અને અસરગ્રસ્ત રહેવાસીઓએ વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. સમિતિના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે, તંત્ર સીધી રીતે વાત કરવાને બદલે 'દલાલો'નો સહારો લઈ રહ્યું છે. આ દલાલો મારફતે નબળા કે ભોળા લોકોને લલચાવી-ફોસલાવીને મિલકતના દસ્તાવેજ કરાવી લેવામાં આવે છે, જેથી સમિતિની એકતા તોડી શકાય. અસરગ્રસ્તોએ માગ કરી હતી કે, જો કોઈ પણ પ્રક્રિયા કરવી હોય તો તે સમિતિને વિશ્વાસમાં લઈને પારદર્શક રીતે કરવી જોઈએ. મિલકતના ભાવમાં અન્યાય: હાટ બજાર સાથે સરખામણીપ્રભાસ હિત રક્ષક સમિતિના ઉપપ્રમુખ બાલાભાઈ શામળાએ વળતરના દરો મુદ્દે તંત્રને ઘેરતા જણાવ્યું હતું કે, તંત્ર બેવડા ધોરણો અપનાવી રહ્યું છે. તેમણે તર્ક આપ્યો હતો કે, સરકારના સ્વદેશી હાટ બજારમાં 45 કરોડનો ખર્ચ થયો છે, જ્યાં નાની દુકાનોના 15થી 35 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. હાટ બજારની બિલકુલ નજીક આવેલી ખાનગી રહેણાક મિલકતો માટે તંત્ર માત્ર પ્રતિ ગજ 23થી 25 હજારનો ભાવ આપી રહ્યું છે. જો હાટ બજારના દર સાથે સરખામણી કરવામાં આવે તો સ્થાનિકોની મિલકતનો ભાવ પ્રતિ ગજ 1.50 લાખ જેટલો થવો જોઈએ. નવી વસાહત માટેનો વિકલ્પસ્થાનિકોએ માત્ર વિરોધ જ નથી કર્યો, પરંતુ એક રચનાત્મક વિકલ્પ પણ સૂચવ્યો છે. સમિતિના જણાવ્યા અનુસાર, જો સરકાર ખરેખર મધ્યમ માર્ગ કાઢવા માંગતી હોય તો સોમનાથના ગુડલક સર્કલ સામે આવેલી સરકારી સર્વે નંબર 831ની વિશાળ જમીન પર વિસ્થાપિતો માટે નવી આધુનિક વસાહત વિકસાવવી જોઈએ. આ અંગેની લેખિત રજૂઆત સરકાર સુધી પહોંચાડવામાં આવી છે. PM મોદીના પ્રવાસને લઈ તંત્રની દોડધામઆગામી 10 અને 11 જાન્યુઆરીએ દેશના પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી સોમનાથની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રીના આગમન પહેલાં કોરિડોરની કામગીરીમાં પ્રગતિ બતાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને વેરાવળ પ્રાંત અધિકારી વિનોદ જોશી દ્વારા સંપાદન પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. જોકે, તંત્ર હજુ પણ મીડિયા સમક્ષ સત્તાવાર નિવેદન આપવાનું ટાળી રહ્યું છે. શાંતિપૂર્ણ ઉકેલની અપેક્ષાછેલ્લા છ મહિનાથી ચાલતી આ ખેંચતાણને કારણે સ્થાનિકોમાં અસંતોષ છે. પ્રભાસ પાટણની જનતા ઈચ્છે છે કે આ પ્રોજેક્ટ લાદવાને બદલે સૌહાર્દપૂર્ણ રીતે અને સ્થાનિકોના હિત જળવાય તે રીતે મડાગાંઠનો ઉકેલ આવે.
ગોધરા સ્થિત સાંદિપની નર્સિંગ કોલેજ ખાતે નર્સિંગના નવા વિદ્યાર્થીઓ માટે લેમ્પલાઇટિંગ અને ઓથ સેરેમની કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પંચમહાલ રેન્જના આઇજી આર.વી. અસારી, પોલીસ અધિક્ષક ડો. હરેશભાઈ દુધાત, યુનિવર્સિટીના કુલપતિ ડો. હરિભાઈ કાતરીયા, નર્સિંગ કોલેજના ટ્રસ્ટી દિલીપભાઈ પટેલ અને મહેશભાઈ પ્રજાપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રજ્વલન સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નર્સિંગના નવા વિદ્યાર્થીઓને માનવસેવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાએ હાજરી આપી હતી. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત પંચમહાલ રેન્જના આઇજી આર.વી. અસારીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, નર્સિંગ ક્ષેત્ર માનવસેવાનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. દર્દીના જીવનમાં નર્સ માત્ર સારવાર આપનાર નહીં, પરંતુ હિંમત, આશા અને સંવેદનાની પ્રતિમૂર્તિ હોય છે. તેમણે વિદ્યાર્થીઓને સેવા ભાવ, શિસ્ત અને સમર્પણ સાથે સમાજ પ્રત્યે જવાબદારીપૂર્વક કાર્ય કરવા પ્રોત્સાહિત કર્યા હતા. યુનિવર્સિટીના કુલપતિ ડો. હરિભાઈ કાતરીયાએ જણાવ્યું હતું કે, નર્સિંગ પ્રોફેશન માત્ર એક કારકિર્દી નહીં, પરંતુ માનવ કલ્યાણ માટેનું પવિત્ર કાર્ય છે. આજના સમયમાં આરોગ્યક્ષેત્રમાં કુશળ અને સંવેદનશીલ નર્સોની ખૂબ જરૂર છે. તેમણે વિદ્યાર્થીઓને આધુનિક જ્ઞાન સાથે માનવીય મૂલ્યો અને શિસ્ત અપનાવવા પર ભાર મૂક્યો હતો. નર્સિંગ કોલેજના ટ્રસ્ટી દિલીપભાઈ પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, કોલેજ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુવિધાઓ પૂરી પાડીને વિદ્યાર્થીઓને સક્ષમ આરોગ્યકર્મી બનાવવા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. મહેશભાઈ પ્રજાપતિએ નર્સિંગ ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ દ્વારા શપથવિધિ લેવામાં આવી હતી અને ઉપસ્થિત મહેમાનોનું કોલેજ પરિવાર તરફથી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
અમદાવાદના પ્રભારી અને રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આજે 5 જાન્યુઆરીના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે બેઠક મળી છે. શહેરના વિવિધ પ્રશ્નોને લઈને ઝોન મુજબ ધારાસભ્યો, કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે બેઠક શરૂ થઈ છે. બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, તમામ મહામંત્રીઓ, મેયર, ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શાસક પક્ષના નેતા સહિત કોર્પોરેશનના પદાધિકારીઓ પણ ઉપસ્થિત છે. સવારે 9:00 વાગ્યે શરૂ થયેલી બેઠક બપોરના 2:00 વાગ્યા સુધી ચાલશે. પ્રથમ ઉત્તર ઝોનના MLA, સાંસદો અને કોર્પોરેટરો સાથે બેઠકસૌ પ્રથમ શહેરના પૂર્વ વિસ્તારમાં આવતા ઉત્તર ઝોનના ધારાસભ્યો, સાંસદ સભ્યો અને કોર્પોરેટરો સાથે બેઠક શરૂ થઈ છે. અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ હસમુખ પટેલ અને પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણા હાજર છે. ભાજપના નરોડાના ધારાસભ્ય ડો. પાયલ કુકરાણી, બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહ અને ઠક્કરબાપાનગરના ધારાસભ્ય કંચન રાદડિયા બેઠકમાં હાજર છે. ઉત્તર ઝોનના નરોડા, સૈજપુર, ઠક્કરબાપાનગર, બાપુનગર, સરસપુર- રખિયાલ, કુબેરનગર અને સરદારનગર વોર્ડના કોર્પોરેટર હાજર છે.
સંતરોડને તાલુકાનો દરજ્જો આપવા માગ:મોરવા હડફ તાલુકાના આગેવાનો, વેપારીઓ અને ખેડૂતોએ રજૂઆત કરી
મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામને નવો તાલુકાનો દરજ્જો આપવા માટે સ્થાનિક આગેવાનો, વેપારીઓ અને ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. આસપાસના ગામોના પ્રતિનિધિઓએ પણ આ માંગને ટેકો આપ્યો છે. આગેવાનોના જણાવ્યા અનુસાર, સંતરોડ ગામ ભૌગોલિક રીતે આજુબાજુના ગામો માટે કેન્દ્રસ્થાન છે. જો તેને તાલુકા મથક બનાવવામાં આવે તો આસપાસના ગ્રામજનોનો અવર-જવરનો સમય અને ખર્ચ બચશે, તેમજ સરકારી કામકાજ વધુ ઝડપથી પૂર્ણ થઈ શકશે. સંતરોડ ગામમાં રેલવે સ્ટેશન સહિતની તમામ આવશ્યક સુવિધાઓ પહેલેથી જ ઉપલબ્ધ છે. ગ્રામજનોએ સરકારને વિનંતી કરી છે કે સંતરોડને તાલુકા મથક બનાવવા અંગે વિચારણા કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે, જેથી સમગ્ર વિસ્તારનો વિકાસ થાય.
પંચમહાલના શહેરામાં ખાણ ખનીજ વિભાગના દરોડા:ગેંગડીયા ગામેથી ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગેંગડીયા ગામે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડી ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં ₹30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી પંચમહાલ જિલ્લામાં નદીઓ અને સરકારી જમીનો પર બિન-અધિકૃત ખનન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈને ખાણ ખનીજ વિભાગે સઘન તપાસ શરૂ કરી હતી. વિભાગને શહેરા તાલુકાના ગેંગડીયા ગામે પરવાનગી વગર ખનીજનું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે અધિકારીઓની ટીમે સ્થળ પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મોટાપાયે બિન-અધિકૃત ખનન થતું હોવાનું માલૂમ પડ્યું હતું. ખાણ ખનીજ વિભાગે સ્થળ પરથી એક જેસીબી મશીન અને એક ટ્રક સહિત અંદાજે ₹30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. વિભાગે જપ્ત કરાયેલા તમામ વાહનોને સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખનીજ ચોરી કરનારા તત્વો સામે માત્ર વાહનો જપ્ત કરવા પૂરતું સીમિત ન રહેતા, તેમની સામે મોટો દંડ વસૂલવાની અને કડક કાયદાકીય પગલાં ભરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગેંગડીયા ગામમાંથી ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદેસર ખનીજ ક્વાર્ટઝનું વહન કરતા એક ટ્રક અને જેસીબી મશીન ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં આશરે ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખાણ ખનીજ વિભાગની ટીમને ખાનગી બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે કેટલાક ખનીજ માફિયાઓ જેસીબી મશીન દ્વારા ગેરકાયદેસર રીતે ક્વાર્ટઝનું ખનન કરી ટ્રકમાં ભરીને વહન કરી રહ્યા છે. આ બાતમીના આધારે ટીમે ગેંગડીયા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ચેકિંગ દરમિયાન, ગેરકાયદેસર ખનીજ ક્વાર્ટઝનું વહન કરતા એક ટ્રક અને ખનન કરતા એક જેસીબી મશીનને અટકાવવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલા મુદ્દામાલને ગોધરા કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને રાખવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં કુદરતી ખનીજ સંપત્તિનો ભંડાર આવેલો છે, ત્યારે કેટલાક ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન અને વહન કરવામાં આવે છે. ખાણ ખનીજ વિભાગની ટીમ આવા માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે અને અસરકારક કામગીરી કરી રહી છે.
પાટણ શહેરમાં ગેરકાયદેસર રીતે ધમધમતા સ્લોટિંગ યુનિટો (કતલખાના) સામે પાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. આજે વહેલી સવારથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે પાલિકાની ટીમે 40થી વધુ ગેરકાયદેસર કતલખાનાઓ સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ દરમિયાન ઘરોમાંથી માસ-મટનનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા રસ્તા પરના શ્વાનોને દૂર કરવાના નિર્ણય સામે દેશભરના જીવદયાપ્રેમીઓમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ નિર્ણયના વિરોધમાં પોરબંદરની ચોપાટી ખાતે ભારતીય દેશી શ્વાનોને બચાવવા માટે શાંતિપૂર્ણ અભિયાન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં જીવદયાપ્રેમીઓ, પ્રાણીપ્રેમી સંસ્થાઓ, યુવાનો અને નાગરિકો જોડાયા હતા. આ વિરોધ કોઈ વ્યક્તિ કે સંસ્થા વિરુદ્ધ નહોતો, પરંતુ ધર્મ, સંસ્કૃતિ અને માનવતાના આધારે નિર્ણય પર ફરી વિચારણા કરવાની માંગ સાથે યોજાયો હતો. ઉપસ્થિત જીવદયાપ્રેમીઓએ જણાવ્યું કે તેઓ ન્યાયપાલિકાનું સંપૂર્ણ સન્માન કરે છે, પરંતુ ન્યાય માત્ર કાયદાકીય જોગવાઈઓ પૂરતો સીમિત ન રહેતા તેમાં કરુણા, સંવેદનશીલતા અને સહઅસ્તિત્વની ભાવના પણ આવશ્યક છે. ભારતીય સંસ્કૃતિમાં 'વસુધૈવ કુટુંબકમ્'નો ભાવ પ્રાચીન કાળથી રહેલો છે. હિંદુ ધર્મમાં ભગવાન ભૈરવ સાથે શ્વાનનું વિશેષ સ્થાન છે. જૈન અને બૌદ્ધ ધર્મમાં અહિંસા પરમો ધર્મ મનાય છે, જ્યારે શીખ અને ઇસ્લામ ધર્મમાં પણ તમામ જીવો પ્રત્યે કરુણા અને જવાબદારીનો ઉપદેશ અપાયો છે. આવા સંસ્કારી દેશ માટે નિર્દોષ અને અવાજ વિનાના પ્રાણીઓ પ્રત્યે કઠોર વલણ યોગ્ય નથી, તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી. વિરોધ દરમિયાન વક્તાઓએ જણાવ્યું કે રસ્તા પર રહેતા શ્વાનો ગુનેગાર નથી. તેઓ બિનયોજિત શહેરીકરણ અને માનવીય બેદરકારીનું પરિણામ છે. તેમને દૂર કરવા એ ઉકેલ નથી, પરંતુ જન્મ નિયંત્રણ, રસીકરણ, સંભાળ, દત્તક પ્રક્રિયા અને જનજાગૃતિ જેવા માનવીય અને વૈજ્ઞાનિક ઉકેલો જ સ્થાયી માર્ગ છે. કાર્યક્રમ દરમિયાન ONE DAY | ONE VOICE | ONE CAUSE અને DO OR DIE – કરો કે મરો જેવા સંદેશાઓ દ્વારા સહઅસ્તિત્વ અને દયાનો સંદેશ અપાયો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે યોજાયો હતો. અંતમાં, જીવદયાપ્રેમીઓએ સરકાર અને ન્યાયપાલિકાને અપીલ કરી કે આ નિર્ણય પર ફરી વિચારણા કરી ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક મૂલ્યો અને માનવતાને ધ્યાનમાં રાખીને પ્રાણીઓના હિતમાં નીતિ ઘડવામાં આવે.
નવસારી-ગણદેવી માર્ગ પર મોડી રાત્રે ઈટાળવા ગામ નજીક એક ટ્રક પલટી ગઈ હતી. 15 ટન શેરડી ભરેલી આ ટ્રક ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અંધારાને કારણે ડિવાઈડર ન દેખાતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રક શેરડીનો જથ્થો લઈને જઈ રહી હતી ત્યારે ઈટાળવા પાસે અકસ્માતનો ભોગ બની હતી. રાત્રિના ગાઢ અંધારામાં ડિવાઈડર સ્પષ્ટ દેખાતું ન હોવાથી ટ્રક સીધી તેની સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે 15 ટન શેરડી ભરેલી ટ્રક રોડ પર જ પલટી ગઈ. ટ્રક પલટી જતાં તેમાં ભરેલી શેરડી રસ્તા પર વિખેરાઈ ગઈ હતી, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો. અકસ્માતની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસની 'જનરક્ષક વાન' તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી સૌ પ્રથમ ટ્રાફિક હળવો કરવાની કામગીરી શરૂ કરી હતી. હાલ ક્રેઈન અને અન્ય સાધનોની મદદથી રોડ પરથી ટ્રક અને વિખેરાયેલી શેરડી હટાવવાની કામગીરી ચાલી રહી છે, જેથી માર્ગ ફરીથી કાર્યરત કરી શકાય. આ અકસ્માતમાં ચાલક કે અન્ય કોઈ વ્યક્તિને ઈજા પહોંચી ન હોવાથી રાહત અનુભવાઈ છે.
વડોદરા શહેરમાં હાથીખાના ગેટ-1ની સામે ચાર લોકો વચ્ચે મારામારીનો વિડીયો થતા કુંભારવાડા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. આ વીડિયોમાં 4 લોકો કમરના બેલ્ટ તથા છૂટા હાથથી મારામારી કરતા જોવા મળે છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરમાં હાથીખાના ગેટ-1ની સામે કબીર ચિકનના સામેના રોડ પર 4 વ્યક્તિઓ વચ્ચે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં કેટલાક વ્યક્તિઓ જાહેર રોડ પર જોરથી બૂમો પાડીને અને કમરના બેલ્ટ તથા છૂટા હાથથી મારામારી કરતા જોવા મળે છે. આ ઝઘડો પતંગની લારી લગાવવાના મુદ્દે અંદરો અંદરની વિવાદને કારણે થયો હતો. કુંભારવાડા પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે અને સામેલ વ્યક્તિઓની ઓળખ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.કુંભારવાડા પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, અબ્દુલમજીદ અબ્દુલરહેમાન સૈયદ અને અબ્દુલગની અબ્દુલરહેમાન સૈયદને શરીરે સામાન્ય ઈજાઓ થઈ છે. વાયરલ વીડિયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે અને મારામારીમાં સામેલ વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપીઓના નામ પ્રથમ પક્ષ 1. અબ્દુલમજીદ અબ્દુલરહેમાન સૈયદ (રહે: હાથીખાના ગેટ-૧ની સામે કબીર ચિકનની સામે, ઈન્દિરાનગર, વડોદરા શહેર) 2. અબ્દુલરમઝાન અબ્દુલમજીદ સૈયદ (રહે: તે જ) બીજો પક્ષ 3. અબ્દુલગની અબ્દુલરહેમાન સૈયદ (રહે: સદર સ્થળ) 4. આરીફ સલીમભાઈ મલેક (રહે: અજબડીમીલ, યાકુતપુરા, વડોદરા શહેર) ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી વડોદરા શહેરમાં મારામારીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. લોકોમાં જાણે કાયદો વ્યવસ્થાને લઈને કોઈ ડર જ ન હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેને લઇને વડોદરા પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે અને આ પ્રકારના અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી રહી છે.
અમદાવાદના સી.જી રોડ પર ગત મોડી(4 જાન્યુઆરી) રાતે એક સ્પોર્ટ્સ બાઈક ચાલકે પૂર ઝડપે આવીને રોડ ક્રોસ કરી રહેલા યુવકને અડફેટે લીધો હતો. બાઇક ચાલક અને રોડ ક્રોસ કરી રહેલા યુવક બંનેને ઇજા થઈ હતી. પરંતુ રોડ ક્રોસ કરી રહેલા યુવકનું ગંભીર ઇજાના કારણે સ્થળ પર જ મોત થયું હતું. બાઇક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ બાઈક ચાલક પૂર ઝડપે આવીને ટક્કર મારીમળતી માહિતી અનુસાર, સી.જી રોડ પર ભાડાના મકાનમાં રહેતો 25 વર્ષીય પ્રકાશ ડિંડોર તેની સોસાયટીમાં રહેતા મિત્ર મહેન્દ્ર ચૌહાણ સાથે ચાલવા ગયા હતા. બંને મિત્રો ચાલીને મરડિયા પ્લાઝા પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે એક સ્પોર્ટ્સ બાઈક ચાલક પૂર ઝડપે આવ્યો હતો જેને પ્રકાશને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પ્રકાશને ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયોઅકસ્માતમાં પ્રકાશને પૂરઝડપે ટક્કર વાગતા પ્રકાશના પગ પર બાઇક પર હતા. અકસ્માત કરનાર સુફિયાન મુસ્તુફા ગોતાના PGમાં રહે છે. સુફિયાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યારે પ્રકાશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. બી ડિવિઝન ટ્રાફિક પોલીસે સુફિયાન મુસ્તુફા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ............
સુરત એસ.ઓ.જી. પોલીસને ડીઝલ ચોરીના એક મોટા રેકેટને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળી છે. ડુમસના દરિયાઈ વિસ્તારમાં લંગરવામાં આવેલા મોટા જહાજોમાંથી મશીનરી દ્વારા ડીઝલની ચોરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ કૌભાંડમાં તસ્કરો શિપમાં ઇલેક્ટ્રિક મોટર લગાવીને પાઇપલાઇન દ્વારા ડીઝલ ખેંચતા હતા અને તેને ડ્રમમાં ભરીને સસ્તા ભાવે બારોબાર વેચી દેવાની ફિરાકમાં હતા. પોલીસની સતર્કતાને કારણે આ આખું નેટવર્ક પકડાઈ ગયું છે. પોલીસને તપાસ દરમિયાન દરિયા કિનારાના વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં ડીઝલનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ ૭૫ જેટલા ડ્રમ કબજે કર્યા છે, જેમાં આશરે 10 લાખ રૂપિયાની કિંમતનું ચોરીનું ડીઝલ હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં એસ.ઓ.જી. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી, આ ગુનામાં સંડોવાયેલા શખ્સોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરીથી દરિયાઈ માર્ગે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર મોટી લગામ લાગી છે.
બોટાદમાંથી એક ગંભીર અકસ્માતના દૃશ્યો સામે આવ્યા છે. મિલેટ્રી રોડ પર ગત 28 ડિસેમ્બરના રોજ બપોરના સમયે થયેલા આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા, જ્યારે 26 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ભયાનક ઘટનાના લાઈવ CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, મિલેટ્રી રોડ પરથી પસાર થઈ રહેલી એક પિકઅપ ગાડી અચાનક ડ્રાઈવરના કાબૂ બહાર જઈ ગઈ હતી. ગાડી પલટી મારીને બેવાર ગુલાંટ ખાતી રોડ પર પલટી ગઈ હતી. માહિતી મુજબ, શહેરના હરણકુઈ વિસ્તારના એક જ કુટુંબના આશરે 28 લોકો વાડીએ જમવાના કાર્યક્રમ માટે આ પિકઅપ ગાડીમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી પલટી ખાઈ ગઈ હતી. સમગ્ર અકસ્માતની ઘટના નજીક લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
અમદાવાદના સાઉથ બોપલમાં સોબો સેન્ટર ખાતે મોડીરાતે ફટાકડા અને પતંગના સ્ટોલમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ એક મોટો બ્લાસ્ટ સંભળાયો હતો અને જોર-જોરથી ફટાકડાઓ ફૂટવાને લઈ આસપાસના સ્થાનિક રહીશોમાં ભય ફેલાયો હતો. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. પતરાના શેડમાં દુકાનો ઊભી કરાઈ હતી આગ લાગવાને કારણે એક મોટો બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. સ્ટોલમાં ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યો હતું, જેમાં બ્લાસ્ટ થયો હતો. પતરાના શેડ બનાવીને દુકાનો ઊભી કરવામાં આવી હતી, જેમાં ફટાકડા અને પતંગ તેમજ અન્ય દુકાનો પણ હતી. જોકે, ફાયરકર્મીઓ સમયસર પહોંચ્યા હતા અને આગને વધુ પ્રસરતા રોકી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસો દ્વારા કરાયેલા હુમલાના ઘેરા પડઘા પડ્યા છે. નવનીત બાલધિયાએ પોતાના પર થયેલા હુમલા પાછળ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે અને પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવનીત બાલધિયાના ખબર અંતર પૂછવા ગયેલા રાજુલાના ધારાસભ્યએ આ મામલે સોમાવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીને મળી રજૂઆત કરવાનો નિર્ણય કર્યો હતો. આજે સવારે કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ સભ્ય ગાંધીનગર પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને એકત્ર થશે અને ત્યારબાદ સાડા દસ વાગ્યે મુખ્યમંત્રીને રજૂઆત માટે જશે. શું છે સમગ્ર મામલો?બગદાણામાં આઠ લોકોએ કરેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે, મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી. જેથી માયાભાઈએ કહ્યું હતું કે, હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતા મેં મારા ચાર પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતા તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું. જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું તેને જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું છે. પોલીસ મારો કેસ ડાયવર્ટ કરી રહી છે. મારી માગ છે કે, આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા પોલીસ તેની તપાસ કરે. કુંવરજી બાવળિયા અને રાજેશ ચુડાસમાએ નવનીત બાલધિયા સાથે મુલાકાત કરી3 જાન્યુઆરીએ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ પણ મહુવાની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવનીત બાલધિયાના ખબરઅંતર પૂછ્યા હતા. બંને નેતાઓએ જણાવ્યું હતું કે, નવનીતભાઈને યોગ્ય ન્યાય મળે અને પોલીસ આ મામલે નિષ્પક્ષ તપાસ કરે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ અને અન્ય આગેવાનો સોમવારે ગાંધીનગર જશે.
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં તા. 11 જાન્યુઆરીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શુભારંભ થવાનો છે. આ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગ સાહસિકો માટે પ્રગતિ અને તકોના નવા દ્વાર ખોલવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રિજનલ કોન્ફરન્સ અને તેને સંલગ્ન તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. જેના અનુસંધાને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સોમવારે રાજકોટ જિલ્લાની મુલાકાતે છે. તેઓ કલેક્ટર કચેરી ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન સાથે તેમજ રીજનલ કોન્ફરન્સના આયોજન સંબંધિત બાબતો અંગે વિવિધ બેઠકો કરશે. જે બાદ નાયબ મુખ્યમંત્રી પ્રેસ મીડિયાને સંબોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી જાન્યુઆરીના બપોરે રાજકોટ પધારશેમારવાડી યુનિવર્સિટી ખાતે આગામી તારીખ 11 અને 12 જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે. જેની રીવ્યુ બેઠક તાજેતરમાં જ રાજકોટના પ્રભારી જીતુ વાઘાણી ન અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં તેમણે જાહેર કર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી જાન્યુઆરીના બપોરે રાજકોટ પધારશે. જુના એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા સ્વદેશી થીમ સાથે તેમનું સ્વાગત થશે. જે બાદ એક કિલોમીટર જેટલો તેમનો રોડ શો યોજાશે. આ વાઇબ્રન્ટ સમિટમાં જાપાન અને યુક્રેન સહિત 22 દેશો જોડાવાના છે. 6,364 ઉદ્યોગકારોના રજીસ્ટ્રેશન થઇ ચૂક્યા છે, 26400 ચોરસ મીટરમાં ટ્રેડ શો થશે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના ઓટો મોબાઇલ, સિરામિક સહિતના ઉદ્યોગોને વૈશ્વિક ફલક મળવાનું છે. 20થી વધુ સેમિનાર હોલમાં દરરોજ અલગ અલગ સેમિનાર યોજાશેઆ ઉપરાંત 4500 ચોરસ મીટરમાં પેવેલિયન બનાવવામાં આવ્યું છે. જેમાં MSME, કુટિર અને હસ્તકલા ઉદ્યોગના ઉદ્યોગકારો હશે. જેમાં મુખ્ય આકર્ષણની વાત કરવામાં આવે તો ડેઇલી લક્કી ડ્રો, કારીગરો દ્વારા થતું ઉત્પાદન, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અને GI ટેગ ડિસ્પ્લે રહેશે. જેમાં અદાણી, રિલાયન્સ અને ટાટા કેમિકલ જેવી મોટી કંપનીઓ પણ ચાર ક્ષેત્રમાં સહભાગીદાર થવાની છે. અહીં 4000થી વધુ ઉદ્યમીઓ હશે. 20થી વધુ સેમિનાર હોલમાં દરરોજ અલગ અલગ ક્ષેત્રના સેમિનાર યોજવામાં આવશે. હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અધિકારીઓ-પદાધિકારીઓની બેઠકઆ દરમિયાન સોમવારે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અધિકારીઓને પદાધિકારીઓની બેઠક યોજાશે. જેમાં રાજકોટ ભાજપના લોકસભા અને રાજ્યસભાના સાંસદ, ધારાસભ્યો, મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની સાથે વાઇબ્રન્ટ સમિટના મુખ્ય આયોજક ઇન્ડેક્ષ- બીના મેનેજીંગ ડિરેક્ટર કે.સી. સંપટ, કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, રૂડાના સી.ઈ.ઓ. ગૌતમ મિયાણી અને પ્રાંત અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહેશે.
વલસાડ કોર્ટમાં આધાર કાર્ડ કેમ્પનું આયોજન:રજીસ્ટ્રેશન અને સુધારા માટે 9 જાન્યુઆરીએ કેમ્પ યોજાશે
વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA) દ્વારા વલસાડ જિલ્લા અદાલત ખાતે આધાર કાર્ડ રજીસ્ટ્રેશન અને સુધારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ન્યાયિક વિભાગના કર્મચારીઓ, વકીલો અને પક્ષકારોની સુવિધા માટે યોજાશે. આ કેમ્પ 9મી જાન્યુઆરી 2026 ના રોજ સવારે 11 થી સાંજે 5 કલાક સુધી ચાલશે. તેનું સ્થળ ઈ-સેવા કેન્દ્ર, ગ્રાઉન્ડ ફ્લોર, ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડીંગ, વલસાડ ખાતે રાખવામાં આવ્યું છે. કેમ્પનો લાભ 18 વર્ષ સુધીના બાળકો, જેમના આધાર કાર્ડ બન્યા નથી અથવા અપડેટ કરવાના છે, તે લઈ શકશે. ઉપરાંત, જે પુખ્ત વયના લોકોના આધાર કાર્ડને 10 વર્ષથી વધુ સમય થઈ ગયો હોય અને અપડેટ કરાવ્યા ન હોય, અથવા જેમણે નવું આધાર કાર્ડ કઢાવવું હોય, તેઓ પણ આ સુવિધાનો લાભ લઈ શકશે. લાભાર્થીઓએ જન્મનું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), રહેઠાણનો પુરાવો, માતા-પિતાના આધાર કાર્ડ અને સુધારા માટે અસલ આધાર કાર્ડ જેવા જરૂરી અસલ દસ્તાવેજો સાથે રાખવાના રહેશે. આ કેમ્પમાં ડેમોગ્રાફિક અપડેશન માટે ₹ 50 અને બાયોમેટ્રિક અપડેશન માટે ₹ 100 ની નિયત ફી ચૂકવવાની રહેશે. વલસાડના પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા જારી કરાયેલ સૂચના મુજબ, આ કેમ્પના સુચારું આયોજન માટે તમામ સંબંધિત કર્મચારીઓ અને વકીલોએ પોતાના નામની નોંધણી 7મી જાન્યુઆરી 2026 સુધીમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં કરાવી લેવાની રહેશે.
વલસાડ જિલ્લાના ફલધરા ખાતે ભાજપના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી (AAP) ના 300 થી 400 કાર્યકરો જોડાયા હોવાના અહેવાલોને વલસાડ 'આપ' પ્રમુખે પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે આ દાવાઓમાં કોઈ તથ્ય નથી અને ભાજપ દ્વારા કાર્યકરોનું મનોબળ તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં, 3 જાન્યુઆરીની રાત્રે ફલધરા ખાતે ભાજપ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 'આપ' ના 400 જેટલા સક્રિય કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાના દવા સાથે સાંસદ ધવલ પટેલના સમાચાર સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી વહેતા થયા હતા. આ સમાચારને વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ જીતુ દેસાઈ અને ગુજરાત પ્રદેશ એસ.ટી. વિંગના વાઈસ પ્રેસિડેન્ટ કમલેશ પટેલે સખત શબ્દોમાં વખોડી કાઢ્યા છે. તેમણે આને 'ભાજપનો ભ્રામક પ્રચાર' ગણાવ્યો છે. વલસાડ જિલ્લા 'આપ' પ્રમુખ જીતુ દેસાઈએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાની વાત તદ્દન પાયાવિહોણી છે. 'આપ' નો કોઈ પણ ચાલુ હોદ્દેદાર ભાજપમાં જોડાયો નથી. ઉલટાનું, છેલ્લા છ-સાત મહિનામાં અનેક નવા કાર્યકરો 'આપ' માં જોડાયા છે અને પક્ષ વધુ મજબૂત બની રહ્યો છે. તેમણે ઉમેર્યું કે 'આપ' આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પૂરી તાકાતથી લડશે. ગુજરાત પ્રદેશ એસ.ટી. વિંગના વાઈસ પ્રેસિડેન્ટ કમલેશ પટેલે પણ આ વાતને નકારતા કહ્યું કે, ભાજપ લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે. આમ આદમી પાર્ટી આજે એક પરિવાર સમાન બની ગઈ છે જે લોકોના હક, અધિકાર, શિક્ષણ અને આરોગ્ય માટે લડી રહી છે. તેમણે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને પેસા (PESA) કાયદા બાબતે ભાજપ દ્વારા થતા અન્યાયનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે લોકો હવે જાગૃત થયા છે અને તેઓ 'આપ' સાથે જોડાઈ રહ્યા છે.આમ આદમી પાર્ટીના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પક્ષના પાયાના કાર્યકરો મક્કમ છે અને ભાજપ દ્વારા ફેલાવવામાં આવતી આવી અફવાઓથી પક્ષને કોઈ નુકસાન થશે નહીં.
ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો:બોટાદના ફ્રી મેડિકલ કેમ્પમાં 95 દર્દીઓને દવા અપાઈ
બોટાદના નવ નાળા પાસે, હરણ કુઈ રોડ, નાઈટ સેન્ટર હોમ ખાતે જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ અને જી.સી.એસ. હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે રવિવાર ના ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં જી.સી.એસ. હોસ્પિટલ અમદાવાદ ના સુપર સ્પેશ્યાલિસ્ટ ડો.સ્મિત કાપડીયા , ડો.ઝીલ પટેલ , ડો.એકતા વ્યાસ, કેમ્પ કોઓર્ડિનેટર અંજલી ગેડામ એ માનદ સેવા આપી 95 દર્દીઓને તપાસી સ્થળ પર જ ફ્રી દવા આપવામાં આવી હતી તેમજ કેમ્પ માંથી હોસ્પિટલમાં આવનાર દર્દી ઓને એક્સ રે ,સોનોગ્રાફી , બ્લડ ,યુરિન તપાસ ફ્રી કરવામાં આવશે.જ્યારે આયુષ્યમાન કાર્ડ મારફત મફત ઘૂંટણ રિપ્લેસમેન્ટ કરી આપવામાં આવશે. આ પ્રસંગે જાયન્ટસ સંસ્થા ના પ્રમુખ ડો. પ્રશાંત કળથિયા, ફેડરેશન ઉપપ્રમુખ ડો. કે બી શાહ , પૂર્વ પ્રમુખ કેતન રોજેસરા ,ફેડરેશન ઓફિસર સી.એલ. ભીકડીયા, નિલેશ કોઠારી ,સેક્રેટરી દર્શન પટેલ , ઉપપ્રમુખ દીપક માથુકિયા , ડો,પરેશ ભાઈ દરજી,હરેશભાઈ પીઠવા, પ્રકાશભાઈ ભીમાણી , રાજુભાઈ ડેરૈયા, હાજર રહ્યા હતા.
પારડી હાઈવે પર ચાલુ કારમાં આગ લાગી:શોર્ટ સર્કિટ થતાં i20 કાર ભડકે બળી, નીચે ઉતરી જતાં ચાલકનો બચાવ
પારડીના નેશનલ હાઈવે નંબર–48 પર મહેતા હોસ્પિટલ નજીક સર્વિસ રોડ પર ગત રાત્રે એક ચાલુ i20 કારમાં ભીષણ આગ લાગી હતી. અભિનવ પાર્કના જેનીલ દેસાઈ પોતાની કાર (નં. GJ-15-CJ-9975) લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. રાત્રિના આશરે પોણા દસ વાગ્યાના સમયે કારના બોનેટના ભાગમાં શોર્ટ સર્કિટ થવાથી અચાનક ધૂમાળો નીકળવા લાગ્યો હતો. કાર ચાલકે કાર અટકાવી નીચે ઉતર્યા ત્યાં સુધીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાને પગલે સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક પારડી ફાયર ટીમને જાણ કરી હતી. પારડી નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ફાયર જવાનોની સમયસરની કામગીરીને કારણે કાર સંપૂર્ણપણે ખાખ થાય તે પહેલાં જ મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારના એન્જિન વિભાગને ભારે નુકસાન પહોંચ્યું છે. હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર આગ લાગતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને થોડા સમય માટે ટ્રાફિક પણ ધીમો પડ્યો હતો.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર નવનિર્મિત બ્રિજમાં દોઢ વર્ષમાં બીજી વખત મોટી તિરાડો પડી છે. આ ઘટનાથી બ્રિજની ગુણવત્તા અને વાહનચાલકોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થયા છે. આ બ્રિજ પરથી દરરોજ 4700થી વધુ નાના-મોટા વાહનો પસાર થાય છે. વાહનચાલકો માટે જોખમઅગાઉ પણ આ બ્રિજ પર તિરાડો પડતાં સમારકામ કરવામાં આવ્યું હતું. જોકે, ફરીથી મોટી તિરાડો પડવાને કારણે વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. આ હાઇવે 24 કલાક ધમધમતો રહે છે, ત્યારે નબળી ગુણવત્તાના કામો થયા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 'બ્રિજ પર વારંવાર તિરાડો પડે છે'મજાદર ગામના મુનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, તેઓ મજાદરથી મહુવા જાય છે અને આ બ્રિજ પર વારંવાર તિરાડો પડે છે. તેમણે સરકારને આવા બેદરકારીભર્યા કામો ન થાય અને લોકોના જીવ જોખમમાં ન મુકાય તેવી વિનંતી કરી હતી. 'વાહનો પલટી મારવાના બનાવો વધ્યા'વાહનચાલક હાર્દિકભાઈ પટેલે કહ્યું કે, તેઓ ભાવનગરથી સોમનાથ જાય છે અને દાતરડી પાસેના બ્રિજ પર વારંવાર તિરાડો જોવા મળે છે. તેમણે ઉમેર્યું કે, આ કારણે અકસ્માતો પણ વધુ થાય છે અને વાહનો પલટી મારવાના બનાવો પણ બને છે, જે નબળા કામની નિશાની છે. દરરોજ 4700થી વધુ વાહનોની અવરજવરભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પરના આ બ્રિજ પરથી સોમનાથ, ભાવનગર, મહુવા અને દીવ સહિતના સ્થળોએથી દરરોજ 4700થી વધુ વાહનોની અવરજવર રહે છે. નવા બનેલા બ્રિજની આવી હાલત થતાં વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને તેઓ સરકાર દ્વારા તપાસ એજન્સીઓ બેસાડીને આ મામલે તપાસ કરાવવાની માંગ કરી રહ્યા છે. પ્રભારી મંત્રીએ નેશનલ હાઈવેની તપાસ કરવા માંગ કરીરાજય સરકારના કેબિનેટ મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ તાજેતરમાં અમરેલી જિલ્લામાં સ્ટેટ સહિત વિવિધ જિલ્લાના નબળા માર્ગો અને નબળા કામો ઉપર કેટલીક એજન્સીઓ સામે કાર્યવાહી કરવા તપાસ બેસાડવા કલેકટરને સૂચના આપ્યા બાદ કાર્યક્રમમા જાહેરમંચ પરથી કહ્યુ નબળા કામો કરનારાને ગુજરાત અને દેશમાં કામ નહીં કરવા દઈએ, અમરેલીમાં કેટલુંક અમારા ધ્યાને આવ્યું છે બ્લેક લિસ્ટ કરી કાર્યવાહી કરીશુ. આ પ્રકારના નિવેદન બાદ પ્રભારી મંત્રીએ નેશનલ હાઇવેમાં નબળા કામો કરનારા એજન્સીઓ સામે તપાસ કરી કડક કાર્યવાહી કરવાની જરૂર છે.અથવા પ્રભારી મંત્રી જીતુ વાઘાણીને બ્રિજ ઉપર મુલાકાત લેવા સ્થાનિક લોકોએ માંગ કરી છે.
પઠાણી ઉઘરાણી:પાંચ લાખના રૂા. 6.82 લાખ પડાવી, મકાન ઉપરાંત સાત લાખની પઠાણી ઉઘરાણી કરી
ભાવનગર શહેરમાં વ્યાજ વટાવનો વ્યવસાય કરતા વ્યાજખોર પાસેથી એક યુવકે વ્યવસાય અર્થે પાંચ લાખ રૂપિયા લીધેલ હતા. જેના બદલામાં યુવકે વ્યાજ સહિત રૂા. 6.82 લાખ ચુકવી આપવા છતાં પણ યુવકના માતા-પિતાને મકાન વ્યાજખોરના નામે કરી દેવાનું તેમજ એ ઉપરાંત સાત લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી, બે ચેક પડાવી લીધા હતા. બંન્ને ચેકો બેન્કમાંથી બાઉન્સ કરાવી, કોર્ટ પરિસરની બહાર જ વ્યાજખોરે ખુલ્લેઆમ દંપતિને ધમકાવીને ડર પેદા કરી, વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હતી. જે વ્યાજખોરના ત્રાસથી આધેડે શહેરના કાળિયાબીડ ખાતે રહેતા વ્યાજખોર વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભાવનગર શહેરના રસાલા કેમ્પમાં રહેતા અને તેમના પુત્ર હિતેશભાઇ સાથે બટાકા વેચાણનો વ્યવસાય કરતા હરેશભાઇ પ્રીતમદાસ પારવાણીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પુત્ર હિતેશભાઇએ વ્યવસાય અર્થે છએક વર્ષ અગાઉ કાળિયાબીડમાં રહેતો અને વાઘાવાડી. ટી.બી.ઝેડના શોરૂમ ઉપર બીજા માળે ઓફિસ ધરાવતા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા ભાઇસાબભા ગોહિલ પાસેથી વ્યાજે રૂા. 5,00,000 લીધા હતા. જેના બદલામાં વ્યાજખોરે વ્યાજ સહિત રૂા. 7 લાખ રૂપિયા પરત આપવાની વાત કરી હતી. જે બાદ ગત વર્ષ 2021 સુધીમાં હિતેશભાઇએ કટકે કટકે રૂા. 6,82,800 વ્યાજ સહિત ચુકવી આપેલ હતા. પરંતુ તે ગાળામાં વ્યાજખોર રાજેન્દ્રસિંહે વકીલને બોલાવી, હરેશભાઇના મકાન પોતાના નામે લખાવી, બળજબરીથી સહી કરાવી લીધી હતી અને હિતેશભાઇ અને તેની પત્નીના નામે બે કોરા ચેક લઇ, રકમ લખી બંન્ને ચેકો બેન્કમાંથી બાઉન્સ કરાવી, હરેશભાઇ ઉપર ચેક પરતનો કેસ કર્યો હતો. જે દરમિયાન ફરિયાદી કોર્ટમાં જતાં કોર્ટ પરિસરની બહાર વ્યાજખોરે પુત્રને જોઇ લઇશ તેમ કહી, હરેશભાઇને ધમકી આપી, મકાન ઉપરાંત વધુ સાત લાખ રૂપિયા વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હરેશભાઇએ વ્યાજખોર રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા ભાઇસાબભા ગોહિલ વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સિદ્ધિ:ગુણવંતભાઈ પટેલને સોરવી ચેરી.ટ્રસ્ટ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ
સોરવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 'ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ - ૨૦૨૫ મહાનુભાવોના હસ્તે એવોર્ડ એનાયત કરાયા. આ સમારંભમાં ભાવનગર તાલુકાની નાગધણીબા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ગુણવંતભાઈ પટેલનું સન્માન ટ્રોફી અને પ્રમાણપત્ર આપી કરવામાં આવ્યું હતુ. ઉચ્ચતમ શિક્ષણનો વ્યાપ વધારવાનાં હેતુસર શિક્ષક કદી નિવૃત્ત થતો નથી. શિક્ષક સતત પ્રવૃત શીલ હોવો જ જોઈએ, એટલું જ નહીં પરંતુ આજીવન શિક્ષક તરીકે કાર્યરત રહે એ જ સાચો શિક્ષક છે. આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપવા બદલ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે 'સોરવી યુવા તેજપદક પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યો હતો. GCERT નાં સચિવ એસ. જે. ડુમરાળિયાએ એવોર્ડ વિજેતાઓને બિરદાવતા જણાવ્યું હતું કે, આવા પુરસ્કારોથી શિક્ષણ જગતમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થાય છે. પુલકિતભાઈ જોષીએ શિક્ષકનો જુસ્સો વધારવા પ્રેરણાદાયી ઉદ્દબોધન કર્યું હતું. સોરવી ચેરીટેબલ ટ્રસ્ટના આ પ્રયાસને શિક્ષણ જગત અને સમાજના ઉત્થાન માટે એક સીમાચિહ્નરૂપ ગણાવવામાં આવ્યો હતો. પ્રશાંતભાઈ શ્રીમાળીએ સંસ્થાને શૈક્ષિણક કાર્યો કરવા શિક્ષણનાં હેતુસર 51 હજારનું દાન આપવાની જાહેરાત કરી હતી.
તાલુકા સંકલન બેઠક મળી:ભાવનગર તાલુકાના વિકાસના કામોને વેગ આપવા તાકીદ
પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ગ્રામ્ય વિકાસયાત્રાને વધુ વેગથી આગળ ધપાવવા બેઠક મળી હતી. જેમાં ભાવનગર તાલુકાના વિકાસકામો ની ચર્ચા કરી હતી. તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન મનજીભાઈ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં તાલુકા સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ડ્રોન દ્વારા સર્વે કર્યા બાદ જે લોકોના પ્રોપર્ટી કાર્ડ બાકી છે, બિન ખેતી થયેલ પ્લોટ માટે ગામ નમુના બે, આકાણી પત્રક, રસ્તાઓ બાબત, એસ.ટી.ના પ્રશ્નો અંગે, સ્મશાન નિમ કરવા બાબત થતા ગામડાઓમાં અનિયમિત વીજળી બાબત અને અન્ય પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવેલ સરકાર ગ્રામ્ય વિકાસ યાત્રાને વધુ વેગથી આગળ ધપાવવા સંકલ્પબદ્ધ છે. એટીવીટી સભ્ય રાજુભાઈ ફાળકી, પ્રવીણભાઈ બારૈયા સહિત વિભાગના અધિકારી, પદાધિકારીઓ હાજર રહી લોક સમસ્યા, પ્રશ્નો નિરાકરણ માટે રજુઆત કરી હતી. તેમણે વિકાસકામો કયા સ્ટેજ ઉપર છે તેને સમયસર પૂર્ણ કરવા અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. આ બેઠકમાં પ્રાંત અધિકારી પ્રતિભા દહિયા, તાલુકા વિકાસ અધિકારી પિયુષ રાવત , નાયબ મામલતદાર અશોકભાઈ મકવાણા, જીજ્ઞાબેન સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
લોક માંગ:સિહોરની જનતાને રિવરફ્રન્ટની સુવિધાની જરૂર
સિહોરએ દિવસે -દિવસે વધુને વધુ વિકસતું અને વિસ્તરતું જતું શહેર છે. ઐતિહાસિક અને ધાર્મિક દષ્ટિએ પણ સિહોરનું એક અનેરું મહત્વ છે.ઐતિહાસિક સ્થાપત્યો આજે પણ સિહોરના દેદીપ્યમાન ઇતિહાસની ઝાંખી કરાવે છે. પરંતુ આજે દિવસે -દિવસે સિહોરનો ઐતિહાસિક વારસો ઝાંખો પડતો જતો હોય એવું લાગે છે. સિહોરમાં ગૌતમ ઋષિના નામ પરથી જેનું નામ રાખવામાં આવ્યું તેવી ગૌતમી નદીમાં આ વરસે પડેલા સારા વરસાદને કારણે અત્યારે પાણી છે જેથી સિહોરમાં મુકતેશ્વર મહાદેવ નજીક ગૌતમી નદીના પટ પર રિવરફ્રન્ટ બનાવવાની લોકમાંગ પ્રબળ બની રહી છે. અમદાવાદમાં રિવર ફ્રન્ટ બનાવવાને કારણે લોકો માટે એ સન્ડે સ્પેશ્યલ બની ગયું. સિહોરમાં ગૌતમી નદીના તટ પર મુકતેશ્વર મહાદેવના મંદિરે પણ ભાવિકો અને પ્રવાસીઓમાં સારું એવું આકર્ષણ જમાવ્યું છે.અહીં જ ગૌતમી નદીનો કિનારો છે. અહીંથી સિહોરી માતા, સિહોરના ઐતિહાસિક કિલ્લાનો અદભુત નજારો નિહાળી શકાય છે. જો અહીં ગૌતમી નદીના તટ પર ગુજરાત સરકાર પ્રવાસન વિભાગ દ્વારા રિવર ફ્રન્ટ બનાવવામાં આવે તો આ સિહોરની યશ કલગીમાં એક ઓર પીછું ઉમેરાશે. રિવર ફ્રન્ટ બને તો આકર્ષણનું કેન્દ્ર બનેસિહોરએ તાલુકા મથક છે. અહીં નવનાથ અને પાંચપીરના બેસણા છે. સિહોર નગરપાલિકા અને 78 ગામડાઓનો સમૂહ ધરાવતો તાલુકો છે. સિહોરમાંથી ભાવનગર-રાજકોટ નેશનલ ધોરીમાર્ગ પસાર થાય છે. આથી સિહોરએ સિહોરવાસીઓ અને અન્ય પ્રવાસીઓને આકર્ષણનું કેન્દ્ર બની શકે તેમ છે. રવિવાર કે જાહેર રજાના દિવસે લોકો પોતાના પરિવાર સાથે સમય વિતાવી શકે એવા સ્થળો આંગળીના વેઢે ગણી શકાય એવા માંડ છે.જો સિહોરમાં રિવર ફ્રન્ટ બને તો સિહોર શહેર ઉપરાંત તાલુકાના લોકો માટે પણ એ લાભદાયી છે.
ભાવનગર શહેરમાં દિવસેને દિવસે વધતા જતા વાહન વ્યવહારને કારણે છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક અકસ્માતો તેમજ હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી છે. આ અકસ્માતોમાં નિર્દોષ નાગરિકોના જીવ ગયા હોવાના બનાવોએ શહેરમાં ચિંતા જગાવી છે. શહેરના અનેક વિસ્તારોમાં નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે વાહનો બેફામ ઝડપે દોડે છે અને ટ્રાફિક નિયંત્રણની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે અકસ્માત થવાની સંભાવનાઓ સતત વધતી જાય છે. ત્યારે વાહનોની વધતી ઝડપને કાબુમાં લેવા તંત્રએ પગલાં લેવા જરૂરી છે. ભરતનગર ચોકડી પાસે આવેલ લાલાબાપા ચોક, સુભાષ નગર ચાર રસ્તા દેરાસર સામે, ડોન ચોક ચાર રસ્તા ભાવનગર નાગરિક બેંકની, ટોપ થ્રી સર્કલ પાસે તેમજ રબર ફેક્ટરી ચાર રસ્તા જેવા વિસ્તારોમાં રોજબરોજ ભારે વાહનવ્યવહાર જોવા મળે છે. આ સ્થળોએ વાહનો અટક્યા વગર પસાર થાય છે અને ઘણી વખત પદયાત્રીઓ તથા દ્વિચક્રી વાહનચાલકો જોખમમાં મુકાતા જોવા મળે છે. સ્થાનિક પરિસ્થિતિ જોતા સ્પષ્ટ જણાય છે કે અહીં ટ્રાફિક સિગ્નલ અને સ્પીડ બ્રેકર જેવી વ્યવસ્થાની તાત્કાલિક જરૂરિયાત છે. શહેરના જુના વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલો જોવા મળે છે, પરંતુ નવા વિકસતા વિસ્તારોમાં આવી વ્યવસ્થા અછતમાં છે. પરિણામે વાહનોની ઝડપ પર કોઈ નિયંત્રણ રહેતું નથી અને અકસ્માતો ની શક્યતા વધી જાય છે. જો આ વિસ્તારોમાં નવા ટ્રાફિક પોઇન્ટ ઊભા કરી સિગ્નલો અને સ્પીડ બ્રેકર સ્થાપિત કરવામાં આવે તો વાહનવ્યવહાર સુવ્યવસ્થિત બની શકે અને અનેક નાગરિકોના જીવ બચાવી શકાય. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને શહેર તંત્રએ કોઈપણ વિલંબ કર્યા વગર તાત્કાલિક જરૂરી પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે.
તોલમાપના નિયમ ભંગ કરનાર દંડાયા:ભાવનગર અને બોટાદમાં સોના અને ચાંદીના 17 એકમો સામે કેસ કરાયા
ગ્રાહકોના હિતોની રક્ષા, વેપારમાં પારદર્શિતા અને યોગ્ય માપતોલ સુનિશ્ચિત કરવા કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યભરમાં નિયમિત રીતે કાર્યવાહીની સાથે ગ્રાહક જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે અને આ અભિયાનના ભાગરૂપે તોલમાપ તંત્ર દ્વારા તા. 2 અને 3 જાન્યુઆરી, બે દિવસ રાજ્યના 370 જેટલા સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમ પર સામૂહિક આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાવામાં આવી હતી. જેમાં તોલમાપ તંત્રના અધિકારીઓ દ્વારા રાજ્યના 25 જિલ્લાઓમાં 253 પ્રોસિક્યુશન કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી કરીને રૂ.6,79,000 જેટલી માંડવાળ ફીની વસૂલાત કરવામાં આવી છે. આ તમામ માંડવાળ ફીની વસૂલાત સ્થળ ઉપર જ E POS-upi-e payment અને ચેકથી વસૂલવામાં આવી છે. આ તપાસમાં મુખ્યત્વે અમદાવાદમાં સૌથી વધુ 61 એકમોની તપાસ સામે 22 કેસ, ભરૂચ-નર્મદામાં 27 એકમોની તપાસ સામે 25 કેસ, જૂનાગઢ-ગીર સોમનાથમાં 21 એકમોની તપાસ સામે 20 કેસ, ભાવનગર/બોટાદમાં 20 એકમોની તપાસ સામે 17 કેસ તથા સુરતમાં 20 એકમોની તપાસ સામે 14 કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય તપાસમાં ગાંધીનગર વડોદરા,પાટણ,છોટાઉદેપુર, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, પોરબંદર, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા-પાલનપુર, સાબરકાંઠા-હિંમતનગર, અરવલ્લી-મોડાસા, રાજકોટ અને મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે તેમ ગાંધીનગરના કાનૂની માપવિજ્ઞાન તંત્રએ જણાવ્યું છે. તંત્રના જણાવ્યા મુજબ ઝુંબેશ દરમિયાન રાજ્યના સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમની તપાસ હાથ ધરતાં કાયદા હેઠળના અમલીકરણ નિયમ/કલમોના ભંગ બદલ એકમો સામે ગુન્હાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. કઇ કઇ ગેરરીતિ ઝડપાઇ ગઇઆ ઝુંબેશ દરમિયાન સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમમાં વપરાતા વજનકાંટાની તપાસ કરતાં ચકાસણી-મુદ્રાંકન સિવાયના વજન-માપ ઉપયોગમાં લેવા, નિયત વજન કરતાં ઓછું વજન આપવું, ફેર ચકાસણી અને મુદ્રાંકન કરાવ્યા સિવાયના વજનમાપ ઉપયોગમાં લેવા, ચોકસાઈ ચકાસવા માટે ચકાસણી અને મુદ્રાંકન થયેલ સિવાયના વજનો રાખવા, ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવું જેવી વિવિધ ગેરરીતિઓ સામે આવી છે.
વીજળીની સમસ્યાનો આવશે તાત્કાલિક ઉકેલ:ભાવનગર જિલ્લામાં મળશે 32 FRT ટીમોની સવલત
ભાવનગર જિલ્લાના વિકાસ અને વિસ્તારમાં વધારો થવાની સાથે 2026ના નવા વર્ષમાં અનેકવિધ કામોથી લોકોની સવલતોમાં વધારો થવાનો છે. જે માં વીજળીને લગતી સમસ્યા તાત્કાલિક ઉકેલ માટે સૌરાષ્ટ્ર-કચ્છમાં પી.જી.વી.સી.એલ. દ્વારા ભાવનગર સહિત 11 જિલ્લા13 ની સર્કલ કચેરીઓમાં રૂ.272 કરોડના ખર્ચે GPSથી સજ્જ વ્હીકલ સાથે 256 FRT (ફૉલ્ટ રેક્ટિફિકેશન ટીમ)ની ટીમો મુકવામાં આવનાર છે ત્યારે 2026ના વર્ષમાં ભાવનગર જિલ્લાને પણ 32 FRT ટીમોની સવલત મળશે. પી.જી.વી.સી.એલ.ના ફૉલ્ટ રેક્ટિફિકેશન ટીમોના પ્રોજેક્ટને જાન્યુઆરી-2026 મહિનાથી લાગુ કરવા તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે પ્રથમ તબક્કામાં ભાવનગર સર્કલ ઓફિસ નીચેના 32 સહિત રાજકોટ સિટી, રાજકોટ રૂરલ, મોરબી અને અમરેલી એમ PGVCLના પાંચ સર્કલમાં કુલ 126 FRT ટીમો 365 દિવસ અને 24x7 સેવારત બનશે. પી.જી.વી.સી.એલ. ભાવનગર સર્કલ કચેરી ખાતે GPSથી સજ્જ વ્હીકલોનું આગમન થયું છે ત્યારે દસ્તાવેજી પ્રક્રિયાની જરૂરી કાર્યવાહી બાદ નજીકના સમયમાં ભાવનગર જિલ્લામાં 32 FRT ટીમોની કાર્યરત બનશે.
વેધર રિપોર્ટ:10 કિલોમીટરની ઝડપે પવન સાથે સતત બીજા દિવસે ઠંડીનો ચમકારો
ભાવનગર શહેરમાં ઉત્તરના પવનો ફૂંકાતાં જ શહેરમાં ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે અને આજે સવારે 10 કિલોમીટરની ઝડપે પવન ફુંકાતા અને સાથે 14.6 ડિગ્રી સેન્ટીગ્રેડ લઘુત્તમ ઉષ્ણતામાને લોકોએ સવારે ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. શહેરમાં નવા વર્ષના આરંભે ગઇ કાલથી ઉત્તર દિશાના બરફવર્ષાના પવનથી ઠંડીનો ચમકારો વધ્યો છે. શહેરમાં ગઇ કાલે લઘુત્તમ ઉષ્ણતામાન 14 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ તે આજે 14.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જો કે સવારના સમયે 10 કિલોમીટરની ઝડપે ટાઢોબોળ પવન ફૂંકાતા ભાવેણાવાસીઓએ ઠંડીનો સતત બીજા દિવસે સવારે અને મોડી રાત્રે અનુભવ કર્યો હતો. શહેરમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 83 ટકા હતુ જ્યારે સાંજે ભેજનું પ્રમાણ 53 ટકા નોંધાયુ હતુ. આજે સાંજે પવનની ઝડપ 8 કિલોમીટર નોંધાઇ હતી. આગામી દિવસોમાં કડકડતી ઠંડી રહેશે.
સિટી એન્કર:ભાવનગરના નંદીશ ભટ્ટે મેળવી નાટકોમાં નામના
ઘરથી દૂર કોઈ શહેરમાં રહીને સંઘર્ષ કરતાં બાળકોની વાત લગભગ હવે દર ઘરે થતી જોવા મળે છે. પણ આ જ વાત એ બાળક અને માતા પિતા બંનેના દ્રષ્ટિકોણથી, અને એ પણ એક મનોરંજક નાટ્ય રૂપાંતરણ સાથે જોવા મળે તો કેવું ? આ અનુભવ કરાવતું ‘ત્રિનેત્ર થિયેટર્સ’નું પરિવારિક મનોરંજક નાટક ‘બેચલર્સ એકોમોડેશન’ તાજેતરમાં ભાવનગરનાં યશવંતરાય નાટ્યગૃહમાં યોજાઇ ગયું. મૂળ ભાવનગરના અને અમદાવાદમાં છેલ્લાં 8 વર્ષથી ગુજરાતી અને હિન્દી રંગભૂમિ તથા ફિલ્મોમાં કાર્યરત નંદીશ ભટ્ટ દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ નાટકમાં નંદીશ સાથે ધ્વનિત, સ્મિત, માર્ગી, શ્વેતા, નવિદ, હેત, હર્ષ વગેરે અમદાવાદ થિયેટરના કલાકારો જોડાયેલ છે. આ નાટક ગુજરાતનાં વિવિધ શહેરોમાં 25થી વધુ શૉ કરીને દરેક વયનાં પ્રેક્ષકોનો પ્રેમ મેળવી રહ્યું છે. ભાવનગરમાં યોજાયેલા શૉનાં આયોજનમાં વિવેક પાઠક, સંદીપ પંડ્યા તથા નાટક ‘ભણકારા’ની આખી ટીમે જહેમત ઉઠાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં વિશ્વસ્તરે સુંદર પ્રદર્શન કરી લોકોનાં દિલ જીતનારી ફિલ્મ ‘લાલો - કૃષ્ણ સદા સહાયતે’માં પણ નંદીશે સુંદર ભૂમિકા ભજવીને પોતાની કારકિર્દીમાં ગૌરવપૂર્ણ મુકામ હાંસલ કર્યો છે. ભાવનગરનું નામ રોશન કરનાર નંદીશે બાલમંદિરથી ધોરણ 12 સુધીનો અભ્યાસ ભાવનગરથી કર્યાં બાદ વલ્લભ વિદ્યાનગરની બી વી એમ એન્જીનિયરીંગ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પુર્ણ કર્યું છે. હવે નાટ્ય અને ફિલ્મોના ક્ષેત્રે કાર્યરત રહીને કલાનગરી ભાવનગરનું ગૌરવ વધારી રહ્યાં છે. ફિલ્મોમાં એક્ટર, રાઇટર અને ડિરેક્ટર તરીકે કાર્યરતસતત 8 વર્ષથી એ અમદાવાદ ખાતે સ્ટેજ અને ફિલ્મોમાં એક્ટર, રાઇટર અને ડિરેક્ટર તરીકે કામ કરતો આવ્યો છે. ‘લાલો’ અને ‘બેચલર્સ એકોમોડેશન’ ઉપરાંત નંદીશના નોંધપાત્ર કામોમાં ‘ઉડન છૂ’, ‘ભેદ’ જેવી ગુજરાતી ફિલ્મો, ‘મુરશીદ (હિન્દી)’, ‘સંતાકૂકડી’, ‘થૂપ્પિસ’, ‘કાયદેસર’ જેવી વેબ સીરિઝ અને ‘મહેતા Vs મહેતા’, ‘હમ કૌન હૈ’, ‘કુમારની અગાશી’, ‘મૃત્યુંજય’, ‘આત્મસમર્પણ’ વગેરે નાટકોનો પણ સમાવેશ થાય છે.
મંડે પોઝિટીવ:17,500 ચો.મી. જગ્યામાં 5 માળની કલેકટર કચેરી બનશે
ભાવનગર કલેકટર કચેરીનું બિલ્ડીંગ 67 વર્ષ જૂનું હોવા સાથે નવી સેવા અને સુવિધાઓનો પણ સમાવેશ થઈ શકે તેમ નહીં હોવાથી શહેરના વિદ્યાનગર ખાતે 33 કરોડના ખર્ચે અનેક સુવિધાઓ સભર કલેકટર કચેરીનું નવનિર્માણ થઈ રહ્યું છે. આ વર્ષમાં ભાવનગર જિલ્લાના પ્રજાજનોને નવી કલેકટર કચેરીની સેવા મળી રહેશે. શહેરના વિદ્યાનગર ખાતે અધ્યતન સુવિધાયુક્ત નવનિર્મિત કલેકટર કચેરી 17,500 ચોરસ મીટર જગ્યામાં પાંચ માળ અને 10,621 ચોરસ મીટર બાંધકામ વિસ્તાર ધરાવતા બિલ્ડીંગમાં પ્રજાજનોને સેવા અને સુવિધા મળી રહેશે. ભાવનગર જિલ્લાના મહેસુલ વિભાગની જુદી જુદી તમામ સેવાનો લાભ એક જ કેમ્પસમાં નવનિર્મિત કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીમાં મળી રહે તે તે મુજબની ડિઝાઇન સાથેનું માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને નજીકના દિવસોમાં જ તે કામ પણ પૂર્ણ થશે. કલેકટર કચેરીના બિલ્ડિંગમાં પ્રાંત કચેરી, સીટી મામલતદાર કચેરી, ગ્રામ્ય મામલતદાર કચેરી, હક્ક ચોક્શી, સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ કચેરી, એનઆઈસી કચેરી, ડેપ્યુટી કલેકટર સ્ટેમ્પ, જિલ્લા જમીનની કચેરી, પુરવઠા કચેરી, જન સેવા કેન્દ્ર વગેરે મહેસુલ વિભાગની કચેરીઓનો સમાવેશ કરવામાં આવશે. તદુપરાંત 215 ચોરસ મીટર વિસ્તાર ધરાવતો વિશાળ કોન્ફરન્સ અને 62 ચોરસ મીટર વિસ્તારના વિડીયો કોન્ફરન્સ હોલ સાથે અરજદારો માટે વેઇટિંગ રૂમ તેમજ ડિસ્ટ્રિક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની સેવા અને સુવિધા પણ કલેકટર કચેરીના બિલ્ડિંગમાં ઉપલબ્ધ કરવામાં આવશે. તેમજ કલેકટર કચેરીના કેમ્પસમાં વિશાળ પાર્કિંગ સાથે ગાર્ડનિંગ પણ કરવામાં આવશે.
સાયબર ફ્રોડ કરનારે હવે લગ્નની કંકોત્રીના નામે ઠગાઇ કરી રહ્યા છે. વોટ્સએપ પર ગઠીયાએ મોકલેલી કંકોત્રીની એપીકે ફાઇલ ખોલતા જ એમ્બ્રોઇડરીના કારીગરના ખાતામાંથી ફ્રોડ કરનારે ફોન હેક કરીને તેના ખાતામાંથી 3 ટ્રાન્જેકશન કરીને2.53 લાખ લઇ લીધાનો બનાવ બન્યો છે. વાલક ગામ વૃંદાવન હોમ્સમાં રહેતા વિનુભાઇ મકોડભાઇ નાકરાણી (ઉવ.49) મગોબ આઇ માતા રોડ સ્થિત ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરે છે. તા.10-4-2025ના રોજ વિનુભાઇ નોકરી પર હતા ત્યારે તેમના વોટ્સએપ પર લગ્નનું આમંત્રણ કાર્ડ.એપીકેની લીંક આવી હતી. વિનુભાઇને એમ કે કોઇ સંબંધીએ મોકલી એમ સમજીને લીંક ખોલી હતી. પણ આમંત્રણ કાર્ડ ખુલ્યુ ન હતું. જેથી વિનુભાઇએ તમે કોણ છો એમ મેસેજ મોકલ્યો હતો. પણ કોઇ જવાબ આવ્યો ન હતો. બીજા દિવસે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં ગઠીયાએ વિનુભાઇનો મોબાઇલ ફોન હેક કરી લીધો હતો. જેથી ફોન અચાનક ચાલુ થઇ ગયો હતો. પણ સિમકાર્ડ બંધ થઇ ગયો હતો. દરમિયાનમાં ગઠીયાએ તેમના બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી રૂ.96,000, બીઓબીના ખાતામાંથી 89250 તથા યુનિયન બેંકના ખાતામાંથી રૂ.68,000 મળી કુલ રૂ.2,53,250 ટ્રાન્સફર કરી લીધા હતા. બનાવ અંગે વિનુભાઇએ લસકાણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાયબર ફ્રોડના ગુનો નોંધી તપાસ આદરી છે. એપીકે ફાઇલ ડાઉનલોડ થાય તો તાત્કાલિક મોબાઇલ ફોનને એરોપ્લેન મોડ પર મૂકી દેવોએક્સપર્ટ મુજબ એપીકે ફાઇલ એક પ્રકારનો સોફટવેર છે. જેના કોડીંગના કારણે મોબાઇલ હેક કરી શકે છે. ભૂલથી કદાચ APK ફાઇલ ડાઉનલોડ કરવામાં જો ફોન હેક થાય તો સૌથી પહેલા મોબાઇલને ફલાઇટ મોડમાં મુકી દો, અથવા ફોનમાંથી સીમકાર્ડ કાઢી નાખો, જેથી ફોન હેક કરી શકશે નહિ. સેટિંગમાં જઈ એપમાં ચેક કરી શકો છો, જો એપ ડાઉનલોડ થઈ હોય તો એપ ડિટેઇલ્સ ઈન સ્ટોરમાં એપ્લીકેશન કેવી રીતે ડાઉનલોડ થઈ તે પણ બતાવી દેશે. જાણકાર પાસે એપ ડીલીટ કરાવી દેવાની અને પોલીસને જાણ કરવી. પૂર્વ ભૂસ્તશાસ્ત્રીના ફોનને હેક કરી ફાઇલ મોકલીએપીકે ફાઇલ સુરતમાં ફરજ બજાવી ચૂકેલા ભુસ્તર શાસ્ત્રી ડી.કે. પટેલના વોટ્સએપ એકાઉન્ટ સાયબર માફિયા દ્વારા હેક કરીને લોકોને .એપીકે ફાઇલ મોકલવામાં આવી રહી છે. ડી.કે પટેલના ફોટા સાથેના વોટ્સએપ પર રિમાઇન્ડર એલર્ટ લખ્યા બાદ PM Challan Notice.apk ફાઇલ મોકલવામાં આવે છે. આ અંગે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ સંપર્ક થઇ શક્યો ન હતો.
હજીરાના દરિયામાં આવતા જહાજમાંથી ડીઝલ ચોરીનું મોટું રેકેટ એસઓજીએ શનિવારે પકડી પાડયું છે.એસઓજીના પીઆઈ સોનારાની સૂચનાથી સ્ટાફે દરિયામાં પ્રાઇવેટ બોટમાં બેસી વોચ ગોઠવી હતી. દરમિયાન એક બોટમાં ડીઝલના મોટા પ્રમાણમાં બેરેલ સાથે મજૂરો પકડાયા હતા. મજૂરોની પૂછપરછ કરતા 4 ડીઝલ માફિયાના નામો આપ્યા હતા પછી આ ડીઝલ કંઈ જગ્યા પર લઈને જવાના તે બાબતે કડક હાથે તપાસ કરી હતી. જેમાં એક ઝિંગા ફાર્મ દરિયાની વચ્ચે બનાવવામાં આવેલું હતું. જ્યાં ડીઝલ માફિયાઓ ડીઝલનો સ્ટોક કરી વહેલી સવારે ભરતીના સમયે ત્યાંથી ડુમસ ડક્કા ઓવારા પર લાવી ટેમ્પામાં ઝિંગા તળાવોમાં સપ્લાય કરી દેતા હતા. આ ડીઝલ ચોરીનો ધંધો છેલ્લા સાતેક વર્ષથી ચાલી રહયો છે અને સ્થાનિક પોલીસ આ બાબતે જાણતી હોય છતાં કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી. અગાઉ ડીઝલ માફીયાઓ સામે ગાંધીનગરની વિજીલન્સે બબ્બે વારની કાર્યવાહી કરી છતાં પણ આ બેનંબરી ધંધો દરિયામાં બેરોકટોક ચાલી રહ્યો છે. ઉપરથી દરિયામાં આવી ગતિવિધી ચાલતી હોય છતાં મરીન પોલીસ પણ આંખ આડા કાન કરી રહી છે. એસઓજીએ લાખોની કિંમતનો લગભગ 200થી વધુ બેરેલડીઝલનો જથ્થો તેમજ 4 બોટો કબજે કરી હોવાની વાત સામે આવી રહી છે. બચાવવા મોટા માથા મેદાનમાંડુમસના ઓવારાથી ડીઝલના ટેમ્પો સપ્લાય માટે નીકળે છે ત્યારે માફિયાની જે પ્રાઇવેટ ગાડીમાં પાઈલોટિંગ કરાય છે ગાડી મોટે ભાગે એક પોલીસકર્મી વાપરતા હોવાની વાત છે. માફીયાઓમાં ગવિયરના તેજસ, રાજો ડુમસનો અજીત, અજય, જૈમો હોવાની વાત સામે આવી છે. અજીતને બચાવવા મોટા માથાએ વચ્ચે પડયા હોવાની ચર્ચા છે. 24 કલાક સુધી દરિયામાં વોચડીઝલ ચોરોને કૅપ્ટન માટે એસઓજીના સ્ટાફેને 24 કલાક સુધી દરિયામાં રહેવાની નોબત આવી ડીઝલ ચોરીના ઓપરેશન માટે એસઓજીના સ્ટાફે શનિવારે સવારથી લઈ રવિવારે સાંજ સુધી દરિયામાં રહેવું પડયું હતું. કેમ કે ભરતીના પાણી આવે ત્યારે ડીઝલ ભરેલા બેરેલો બહાર લાવી શકાય તેમ હતું. તમામ બેરેલો કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે. મોટા જહાજના કેપ્ટન સાથે ડીઝલ માફિયાઓની સાઠગાંઠહજીરાની કંપનીમાં આવતા કેટલાક મોટા જહાજના કેપ્તાન સહિતના સ્ટાફને ડીઝલ માફીયાઓ દિવસ દરમિયાન બોટમાં જઈ પહેલા ગોઠવણી કરી આવતા હોય છે. એટલું જ નહિ જહાજના સ્ટાફને સુરતના મોલમાં ફરવાથી લઈ ખરીદી તેમજ ખાણીપીણીની તમામ સવલતો માફીયાઓ કરી આપે છે. ત્યાર પછી તેનો મોબાઇલ નંબર લઈ મધરાત્રે બોટમાં મજૂરો સાથે જતા હોય છે. જહાજ પાસે બોટ પહોંચે એટલે ડિઝલમાફીયાઓ કોલ કરી દેતા હોય છે. પછી જહાજનો સ્ટાફ ઉપરથી દોરડું નાખે છે. જે દોરડામાં પાઇપ બાંધી પાછો જહાજમાં ડિઝલની ટેન્કમાં નાખી દેવામાં આવે છે. ડિઝલમાફીયાઓ જનરેટરની મદદથી મોટર ચાલુ કરી બોટમાં મુકેલા બેરેલમાં ગણતરીના મિનીટમાં ડીઝલ ભરી નીકળી જતા હોય છે.
નર્સે કર્યો આપઘાત:ડ્યુટી મામલે સ્ટાફ સાથે ઝઘડો થતા 45 વર્ષીય નર્સે કેમિકલ પી જીવન ટૂંકાવી લીધું
રાંદેર વિસ્તારમાં આવેલી જનની હોસ્પિટલમાં 45 વર્ષની સિનિયર નર્સે હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં જ સર્જરીના સાધનો ડીસઈન્ફેક્ટ કરવા માટે ઉપયોગમાં લેવાતું કેમિકલ પી જીવન ટુંકાવી લીધું હતું. સ્ટાફ સાથે ડ્યુટી ગોઠવવા બાબતે ઝગડો થયા બાદ માઠુ લાગી આવતા તેમણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. પાલ રાજ કોર્નરની પાછળ સુડા આવાસમાં રહેતા 45 વર્ષીય અમીષાબેન હેમંતભાઈ શર્મા રાંદેર મોરા ભાગળ પાસે આવેલી જનની હોસ્પિટલમાં સિનિયર નર્સ તરીકે નોકરી કરી પુત્રી અને તેમનું ગુજરાન ચલાવતા હતા. તેમના પતિનું 12 વર્ષ પહેલા જ અવસાન થઈ ગયું હતું. રાંદેરની જનની હોસ્પિટલમાં તેઓ ઓપરેશન થિયેટર ઈન્ચાર્જ પણ હતા. શનિવારે રાત્રે તેમણે જનની હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં ઉપયોગમાં લેવાતું ફોર્મોલીન પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અમિષા શર્માએ ફોર્મોલિન પી લીધાની જાણ થતાજ તેમને તાત્કાલિક સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. સિનિયર નર્સ દ્વારા ફોર્મોલિન પી જીવન ટૂંકાવી લેવાના બનાવની જાણ થતા જ રાંદેર પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં સિનિયર નર્સ અમીષાબેન શર્મા ઓપરેશન થિયેટર ઈન્ચાર્જ હોવાથી ડ્યૂટી ગોઠવવા બાબતે અન્ય સ્ટાફ સાથે તેમને શનિવારે ઝગડો થયો હતો. જેમાં માઠુ લાગી આવતા અમીષાબેને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. સાધનો ડિસઇન્ફેક્ટ કરવા ફોર્મોલિનનો ઉપયોગફોર્મોલિન એક સોલ્યુશન છે જે હોસ્પિટલમાં સર્જરીના સાધનો ડિસઈન્ફેક્ટ કરવા માટે, મૃતદેહ અને ટીશ્યુને સુરક્ષિત રાખવા માટે, લેબોરેટરીમાં નમૂનાઓ સાચવવા, રૂમ, વોર્ડ ઓપરેશન થિયેટર ફ્યૂમિગેશન માટે તેમજ જીવાણુ, બેક્ટેરીયા અને વાયરસ નાશ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ સોલ્યુશન આંખ, નાક, ફેફસાંને ગંભીર નુકસાન, લાંબા સમય સુધી સંપર્કથી કેન્સરનું જોખમ વધે છે તેમજ ત્વચા પર પડવાથી બળતરા થાય છે.
વૃદ્ધે કરી આત્મહત્યા:વરાછામાં માનસિક બીમારીથી કંટાળી 65 વર્ષીય વૃદ્ધનો ફાંસો
વરાછા વિસ્તારમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. માનસિક બીમારીથી કંટાળીને તેમણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. મૂળ અમરેલીના વતની અને હાલમાં વરાછાના એ.કે. રોડ પુષ્પક રો હાઉસ ખાતે રહેતા 65 વર્ષીય ભરતભાઈ દેવજીભાઈ કાતરોડીયા નિવૃત્ત જીવન વ્યતીત કરતા હતા. શુક્રવારે રાત્રે તેમણે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાતના બનાવની જાણ થતા અશ્વનિકુમાર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રાથમીક તપાસમાં ભરતભાઈ છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતા હોવાનું અને બીમારીથી કંટાળીને તેમણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. બનાવ સંદર્ભે અશ્વનિકુમાર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
વર્ષ 2025માં સુરત શહેર પોલીસની PCBએ પાસા હેઠળ રેકોર્ડબ્રેક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આ વર્ષમાં 1016 આરોપીઓને જેલભેગા કરવામાં આવ્યા છે. ગત વર્ષ 2024ની સરખામણીએ આ આંકડો ઘણો વધારે છે. ગુજરાત પોલીસમાં સૌથી વધારે લિંબાયત પોલીસે 100 ગુનેગારોને પાસા હેઠળ ધકેલી દીધા છે. વર્ષ 2025માં 507 લુખ્ખા તત્વો અને 307 બુટલેગરોને પાસા હેઠળ જેલભેગા કરાયા છે. 43 જાતીય સતામણી કરનારાઓ સામે કડક પગલાં લીધા છે. વ્યાજખોરી, અનૈતિક વેપારમાં સંડોવાયેલા ગુનેગારોને પણ પાસા કરાયા છે. સુરત પોલીસે આ વર્ષે 27 જેટલા સાયબર ક્રિમિનલ્સને પાસા હેઠળ જેલભેગા કર્યા છે. પોલીસે જે રીતે સાઇબર ગુનેગારોને પકડ્યા છે. ભય-અશાંતિ ફેલાવનારા સામે ઝીરો ટોલરન્સ આ વખતે ખાસ કરીને સાયબર ક્રાઇમ, કાપડ અને હીરામાં થતી ચીટિંગ, ખંડણી, વ્યાજખોરી તેમજ જાતીય સતામણી માં સંડોવાયેલા તત્વો સામે પાસાની કાર્યવાહી કરાઇ છે. ભય અને અશાંતિ ફેલાવનારા તત્વો સામે પોલીસ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. આવનારા દિવસોમાં પણ આરોપીઓ સામે વધુ કડક કાર્યવાહી કરાશે. > અનુપમસિંહ ગહલૌત, પોલીસ કમિશનર, સુરત શહેર ગૌહત્યા, કાપડ અને ડાયમંડ ચીટિંગમાં કડક પગલા 1. લિંબાયત - 100 2. ઉધના - 90 3. પાંડેસરા - 81 4. સચીન - 56 5. ભેસ્તાન - 52 સૌથી વધુ લિંબાયતમાં 100 ગુનેગારોને પાસા હેઠળ ધકેલાયા હતા. ઉધના, પાંડેસરા,સચિન, ભેસ્તાનમાં કાર્યવાહી કરાઇ હતી રાજ્યમાં સૌથી વધુ લિંબાયતમાં 100 ગુનેગારોને પાસા
શપથ ગ્રહણ સમારોહમાં હર્ષ સંઘવીનું સંબોધન:‘બાળકોને કુપોષણથી મુક્ત કરવા તબીબોનો સહયોગ અનિવાર્ય છે’
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ડૉક્ટરોને સમાજ પ્રત્યેની તેમની જવાબદારી સાથે કુપોષણ મુક્ત ગુજરાતના અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું હતું. સુરત પીડિયાટ્રિક એસોસિયેશનના નવા અધ્યક્ષના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપતા તેમણે શાળાના બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કુપોષિત બાળકો માટે તબીબો વિશેષ કેમ્પ અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરે. સમારોહને સંબોધન કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, બાળકો એ દેશનું ભવિષ્ય છે અને તેમને કુપોષણના વીષ ચક્રમાંથી બહાર કાઢવા માટે સરકારની સાથે-સાથે ડૉક્ટરોનો સહયોગ અનિવાર્ય છે. તેમણે મુખ્યત્વે બાબતો પર ભાર મૂક્યો હતો કે, ડૉક્ટરોએ શાળાએ જતાં બાળકોના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. જેથી, કુપોષણને શરૂઆતના તબક્કે જ અટકાવી શકાય. માત્ર સારવાર જ નહીં પરંતુ, વાલીઓમાં પોષણક્ષમ આહાર બાબતે જાગૃતિ લાવવા માટે ડૉક્ટરોએ આગળ આવવું જોઈએ.
વાલક પાટીયા, સ્વામિનારાયણ મિશન પ્રાગણમાં રવિવારે સાંજે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 17000થી વધારે ભક્તોએ ભોજન, પ્રસાદ અને સત્સંગનો લાભ લીધો હતો. સ્વામિનારાયણ મિશનના સ્થાપક નીલકંઠ ચરણદાસજી સ્વામીએ 2026ના વર્ષને ભજન વર્ષ તરીકે જાહેર કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના ધોરાજી નજીક ફરેણી ગામ ખાતે શ્રીજી મહારાજે સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો હતો. તે દિવસની ઉજવણી નિમિત્તે ભક્તો વર્ષ દરમિયાન જુદા જુદા ભજન ભક્તિના કાર્યક્રમો કરશે અને 1 કરોડ મંત્રજાપ કરી શ્રીજી મહારાજને અર્પણ કરશે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેનું નામ શિરમોર છે તેવા દાદા ખાચરના પરિવારનું ઉદાહરણ આપીને સમજાવ્યું હતું કે પરિવારમાં એકતા ખૂબ જ જરૂરી છે. રાકેશપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે તે પ્રમાણે ચાલવું તેમાં આપણું કલ્યાણ છે તેમણે કરેલી આજ્ઞા એ જ મૂળ સંપ્રદાયની પરંપરા છે. ઘણાને ધન સંપત્તિ કે લોકોનો સમુદાય જોઈને નવું કરવાના વિચારો આવતા હોય છે. પરંતુ મહારાજે જે વચનામૃત અને શિક્ષાપત્રીમાં કહ્યું છે તેને અવગણીને ક્યારેય વર્તવું નહીં.
રક્તદાન કેમ્પનું આયોજન:શ્રીકુંપાય માતા મંદિર ટ્રસ્ટના કેમ્પમાં 257 યુનીટ રક્ત એકત્ર
શ્રીકુંપાય માતા મંદિર ટ્રસ્ટ તથા સમસ્ત કતારગામ તળપદા કોળી પટેલ પંચ દ્વારા સુરત રક્તદાન કેન્દ્ર નાં સહયોગથી ભરતનાથ મંદિરની વાડી, ડેરી ફળિયા, કતારગામ ખાતે ‘ચતુર્થ રક્તદાન શિબિર તેમજ ફ્રી મેડિકલ કેમ્પ’નું આયોજન ગોઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિન્દુ મિલન મંદિરનાં સ્વામી અંબરીશાનંદજી. ધારાસભ્ય વિનોદ મોરડીયા, મેયર દક્ષેશ માવાણી, સમાજનાં આગેવાનોએ તમામ રક્તદાતાઓને નિયમિત રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યાં હતા. રક્તદાન શિબિરની સાથે ફ્રી મેડિકલ કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી જેનો સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આ મહા રક્તદાન શિબિર અને મેડિકલ કેમ્પને સફળ બનાવવા માટે શ્રીકુંપાય માતા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. 257 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
ચાર મહિના અગાઉ સુરત-વડોદરા હાઇવે પર થયેલા અકસ્માતમાં કાર ચાલક શિક્ષકનું કરુણ મોત થયું હતું. આ કેસમાં આજે વીમા કંપની સાથે સમાધાનના કેસમાં મરનાર શિક્ષકના પરિજનોને રૂપિયા એક કરોડનું વળતર ચૂકવવામા આવ્યું હતું. વ્યારાની વૃંદાવન સોસાયટીમાં રહેતા અને શિક્ષક તરીકેની ફરજ બજાવતા ધર્મેશભાઈ પોતાની કાર લઈને વડોદરાથી સુરત આવી રહ્યા હતા ત્યારે આઇસર ટ્રક સાથે અકસ્માત થતા તેમને માથા અ્ને ગળાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જેના લીધે તેમનું મોત નીપજ્યું હતું. બાદમાં સમગ્ર મામલો અસક્માત વળતર ધારા હેઠળ કોર્ટમાં પહોંચ્યો હતો જ્યાં મરનાર 48 વર્ષના હતા અને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી દર મહિને 83 હજાર કમાતા હતા. આથી વારસદારોએ 1.30 કરોડનુ વળતર માગ્યું હતું. આવક, તબિયત અને રોકાણ બધુ જ જોવામાં આવેઅકસ્માત વળતરના કેસમાં મરનાર કે અકસ્માતમા ખોડખાપણના કેસમાં આવક-રોકાણ અને ભવિષ્યની આવક બધુ જ જોવામા આવતુ હોય છે અને ગણતરીના આધારે વળતર નક્કી કરવામા આવે છે. ઉપરાંત મરનાર પાછળ કોને-કોને છોડી ગયા છે તે પણ જોવામા આવે છે. આ સાથે લોસ ઓફ એસ્ટેટ,લોસ ઓફ કોન્સોટીઅમ, લોસ ઓફ લવ એન્ડ અફેક્શન વગેરેના આધારે વળતર નક્કી થાય છે. > નિમેશ દલાલ, એડવોકેટ બાઇક ચોરીની ફરિયાદ મોડી થતાં અરજી નામંજૂર કરાઈનાનપુરાના યુવકની બાઇક ચોરી થઈ જવાના કેસમાં વીમા કંપનીને સાત દિવસ મોડે જાણ કરવામાં આવતા રુપિયા 48 હજારની વળતરની અરજી નામંજૂર કરવામાં આવી હતી. આ કેસમાં વીમા કંપની તરફે એડવોકેટ દર્શન શાહ દ્વારા દલીલો કરવામા આવી હતી. બાઇક ચોરી થતા બિજા દિવસે પોલીસ ફરિયાદ થઈ હતી.
વેધર રિપોર્ટ:શહેરમાં ફુલગુલાબી ઠંડી, લઘુત્તમ તાપમાન 15.6 ડિગ્રી સુધી નોંધાયું
દક્ષિણ ગુજરાતમાં હવે શિયાળાએ બરાબરની જમાવટ કરી છે. કેટલાક દિવસોથી સુરત વહેલી સવારે અને મોડી રાત્રે ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ પલટાને કારણે જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે. રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 30.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન ઘટીને 15.6 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. નોંધનીય છે કે પાછલા દિવસની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 0.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 0.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. તાપમાનમાં થઈ રહેલા આ સતત ઘટાડાને કારણે રાત્રિના સમયે ઠંડીની તીવ્રતા વધી રહી છે. પવનની ગતિ અને દિશા શહેરમાં અત્યારે ઉત્તર દિશા તરફથી અંદાજે 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. હિમાલય અને ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે ત્યાંથી આવતા ઠંડા પવનો સુરતના વાતાવરણમાં ઠંડક પ્રસરાવી રહ્યા છે.
આવકવેરા વિભાગ દ્વારા તાજેતરમાં જ અનેક કરદાતાઓને મેસેજ અને ઇ-મેલ મારફત રિટર્ન અપડેટ કરવાની સૂચના આપી હતી. પરંતુ ઘણા કરદાતા એવા છે જેઓને ઇ-મેલ મળ્યા નહતા. કેમકે તેઓએ રિટર્ન ભરતી વખતે પોતાના નવા ઇ-મેલ અપડેટ કરાવ્યા ન હતા. જ્યારે આઇટીનું ન્યૂઝ.2 કેમ્પેઇન ચાલી રહ્યું હતું અને આ કેમ્પેઇનના પહેલા ચરણમાં જ્યારે મેસેજ કે ઇ-મેલ મોકલવામાં આવ્યા હતા ત્યારે 61 ટકા લોકોએ જવાબ આપ્યા હતા જ્યારે 39 ટકા લોકોએ કોઈ જવાબ જ આપ્યા ન હતા. હવે જે લોકોને ઇ-મેલ મળ્યા નથી તેઓને પર 30 ટકાથી લઈને 90 ટકા સુધીની પેનલ્ટીની તલવાર લટકી રહી છે. સી.એ. ધર્મેશ શાહ કહે છે કે જે કેસમાં મેસેજ કે ઇ-મેલ આવ્યા છે તેવા ઘણા કેસોમાં તો કરદાતાની કોઈ ભૂલ નથી, રિટર્ન યોગ્ય જ ભરાયુ છે પરંતુ છતાં એઆઇએસ ચકાસી લેવામાં આવ્યું છે અને નાની-મોટી ભૂલ હોય તો ફરી રિટર્ન ભરી દેવાયું છે. કમિશનથી દાન આપનારા અને લેનારાઓને શોધાયાઆઇટી વિભાગે ત્રણ તબક્કામાં દાન લેનારા અને આપનારાઓને ત્યાં તપાસ કરીને અનેક ડોકયુમેન્ટ જપ્ત કર્યા છે અને તેના આધારે એવી પોલિટિકલ પાર્ટીઓની યાદી પણ તૈયાર કરી છે જે કમિશન લે છે. રીટર્નમાં મિલકતો દર્શાવી ન હોય તો બેનામી ઘોષિત થશેઅધિકારી સૂત્રો કહે છે જો વિદેશમાં કે દેશમાં મિલકત ખરીદી હોય અને તેને રિટર્નમાં ન બતાવે અને પાછળથી તપાસ થયા અને કરદાતા જો પુરાવા ન આપી શકે તો આવી મિલકતો પણ બેનામી પુરાવાર થઈ શકે છે. ઇ-મેલ અપડેટ નહીં કરનાર નુકસાનમાંઇ-મેલ બદલાયું હોય તો તે અપડેટ જરૂરી છે નહીં તો નોટિસની બજવણી એક રીતે લીગલ જ કહેવાશે. હાલ જે કેસમાં ઇ-મેલ આવ્યા છે તેમાં જો ઇ-મેલ અપડેટ ન કરાતા જૂના જ એડ્રેસ પર ઇ-મેલ ગયો હયો તો કરદાતાએ પેનલ્ટીની માર સહન કરવી પડશે. > રમેશ ગોયેલ, સી.એ.
રાજ્યમાં બાંધકામ ક્ષેત્રે પારદર્શિતા લાવવા પ્લાન મંજૂરી ઝડપી કરવા માટે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. નગર આયોજન અને મૂલ્યાંકન ખાતા (ટાઉન પ્લાનિંગ એન્ડ વેલ્યુએશન ડિપાર્ટમેન્ટ) દ્વારા બહાર પાડવામાં આવેલા નવા આદેશ મુજબ, હવેથી 15 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા બાંધકામો માટે મ્યુનિસિપલ કોર્પોરેશન કે સત્તામંડળો આર્કિટેક્ટ કે ડેવલપર્સ પાસેથી દસ્તાવેજોની હાર્ડ કોપી (ફિઝિકલ ફાઈલ) માંગી શકશે નહીં. 1લી જાન્યુઆરી, 2026થી આ આદેશનો ચૂસ્તપણે અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત મહત્ત્વના આદેશમાં લો અને મીડિયમ રિસ્ક ધરાવતા બાંધકામોમાં હવે થી ‘થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન’ની કાર્યપદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે, જેની જવાબદારી જે-તે મહાપાલિકાઓ, સત્તામંડળે 1લી જાન્યુઆરીથી નિભાવવાની ફરજિયાત કરાઈ છે. સુરત સહિત રાજ્યની તમામ પાલિકાઓએ ફરજિયાત ઓનલાઇન પ્રક્રિયા જ કરવી પડશેસરકારે વર્ષ 2017માં પ્લાન મંજૂરીની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ODPS (Online Development Permission System) દાખલ કરી હતી. તેમ છતાં, ઓનલાઇન પ્લાન સહિતના દસ્તાવેજો અપલોડ કરાયા બાદ પણ મંજૂરી માટે ઓફલાઇન પણ મહાપાલિકાના ઝોન, મધ્યસ્થ શહેરવિકાસ ખાતા દ્વારા ફરીથી હાર્ડ કોપી મંગાવી આખી પ્રક્રિયા ફરી કરતાં પ્લાન મંજૂરીમાં બિનજરૂરી વિલંબ થતો હોવાથી આર્કિટેક્ટો-એન્જિનિયરોની મુશ્કેલીઓ વધતી હતી. આ સંદર્ભે સુરત સહિતની મહાનગરપાલિકાઓ માંથી ફરિયાદો પણ ઉઠી હતી. બાંધકામ પ્રોજેક્ટો ઝડપી કરવા નવા આદેશની મુખ્ય બાબતો
26 પદાધિકારી બરતરફ કરાયા:શિવસેના ઠાકરે જૂથનો બળવાખોરોને ફટકો
મુંબઈ મહાપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની સમયમર્યાદામાં પણ પીછેહઠ ન કરીને, સત્તાવાર ઉમેદવારોને પડકાર ફેંકનારા બળવાખોર નેતાઓને 'માતોશ્રી'એ ઘરનો રસ્તો બતાવ્યો છે. પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વારંવારના આદેશો અને અલ્ટિમેટમનો અનાદર કરનારા 26 મુખ્ય પદાધિકારીઓને હાંકી કાઢવાનો આદેશ આપ્યો છે. હાંકી કાઢવામાં આવેલામાં અનિલ પરબના નજીકના સાથીઓનો પણ સમાવેશ થાય છે. ઠાકરે જૂથે આ સંદર્ભમાં એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. આ કાર્યવાહીમાં, વોર્ડ નંબર 95 ના શેખર વાયંગણ્કરનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. તેમને પાર્ટીના વરિષ્ઠ નેતા અનિલ પરબના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. તેમણે બાંદરા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં પાર્ટી સંગઠનમાં મોટી ભૂમિકા ભજવી હતી. જોકે, સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ તરીકે ચૂંટણી લડવાના તેમના નિર્ણયને કારણે તેમની સામે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરે દ્વારા આપવામાં આવેલા 'એબી ફોર્મ' ધરાવતા ઉમેદવારોએ તેમની અરજીઓ પાછી ખેંચી ન લેવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. શિવસેના, કોંગ્રેસ અને એનસીપી (શરદ પવાર જૂથ)ની યુતિમાં બેઠકોની વહેંચણી કરવામાં આવી છે. યુતિને બચાવવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું કારણ કે સાથી પક્ષોને ફાળવવામાં આવેલી બેઠકોમાં પણ બળવાખોરો થયા હતા. એક જ પક્ષના બે ઉમેદવાર મેદાનમાં હોય અને ભાજપ અથવા શિંદે જૂથ તેનો સીધો ફાયદો ઉઠાવી શકે તો મત વિભાજનનું નુકસાન ટાળવા માટે બળવાખોરોને હાંકી કાઢવામાં આવ્યા હતા. કાર્યકર્તાઓને સંદેશ આપવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી કે પક્ષથી કોઈ મોટું નથી. પક્ષ મોટા નેતાઓ સામે કાર્યવાહી કરીને અન્ય પદાધિકારીઓ પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે જેથી અન્ય પદાધિકારીઓ આવી કૃત્યો કરવાની હિંમત ન કરે.
અમિત સાટમ દ્વારા સનસનાટીભર્યો આરોપ:જો ઉદ્ધવ ઠાકરે મેયર બનશે તો મુંબઈ પાકિસ્તાન બની જશે
ભાજપના મુંબઈ પ્રમુખ અમિત સાટમે એક સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે કે ઉદ્ધવ ઠાકરેએ ૧૯૯૭ થી ૨૦૨૨ સુધીનાં ૨૫ વર્ષ દરમિયાન મુંબઈ મહાપાલિકામાં દેશનો સૌથી મોટો ભ્રષ્ટાચાર કર્યો હતો. દેશમાં અત્યાર સુધી થયેલા 2જી, કોલસા કૌભાંડ કે કોમનવેલ્થ જેવા મોટા કૌભાંડોની સંખ્યા ૧ લાખ ૭૬ હજાર કરોડ રૂપિયાથી વધુ નથી, પરંતુ ઠાકરેએ મુંબઈ મહાપાલિકામાં જ ૩ લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. જો મેયર ચૂંટવામાં ઠાકરે સફળ થાય તો મુંબઈ પાકિસ્તાન બની જશે.મુંબઈ શહેર અને મહાપાલિકાની દ્રષ્ટિથી સૌથી મોટો મુદ્દો રસ્તાનો છે. મુંબઈ શહેર તેના રસ્તાઓ માટે સમગ્ર વિશ્વમાં કુખ્યાત છે. શહેરના રસ્તાઓ કેવા છે તેના આધારે આપણે સંબંધિત શહેર વિશે આપણો અભિપ્રાય વ્યક્ત કરીએ છીએ, પરંતુ, અમે ઘણાં વર્ષોથી આ ચર્ચા સાંભળી રહ્યા છીએ, મુંબઈ શહેરના રસ્તાઓમાં ખાડા છે કે ખાડાઓમાં રસ્તા છે, એમ સાટમે જણાવ્યું.મુંબઈના રસ્તાઓની ખરાબ સ્થિતિ તરફ ધ્યાન દોરતાં, સાટમે માહિતી અધિકાર (આરટીઆઈ) દ્વારા મેળવેલી માહિતીનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે છેલ્લાં 10 વર્ષમાં જ મહાપાલિકાએ મુંબઈના રસ્તાઓ પર 21,000 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આટલી મોટી રકમ ખર્ચવા છતાં, મુંબઈના રસ્તાઓની હાલત દયનીય છે, અને રસ્તાઓમાં ખાડા છે કે ખાડાઓમાં રસ્તા છે તે સ્પષ્ટ નથી. તેમણે સીધો આરોપ લગાવ્યો કે આ પરિસ્થિતિ માટે ઉદ્ધવ ઠાકરે જ જવાબદાર છે. અમિત સાટમે કહ્યું કે શિક્ષણ કૌભાંડ, પાણી યોજના રદ કરવાનું કૌભાંડ, કચરો કૌભાંડ અને જાહેરાત આવકમાં ભ્રષ્ટાચાર, મુંબઈના 1700 બાર અને રેસ્ટોરાંમાંથી ખંડણી વસૂલી તેમને નામે બોલાય છે. મહાલક્ષ્મી કોવિડ સેન્ટર બિલ્ડરના ફાયદા માટે બનાવવામાં આવ્યું હતું અને બોડી બેગ અને પીપીઈ કિટની ખરીદીમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હતો. અમિત સાટમે દાવો કર્યો હતો કે સ્થાયી સમિતિ ઉદ્ધવ ઠાકરેના માણસો દ્વારા 'રિમોટ કંટ્રોલ'થી ચલાવવામાં આવતી હતી.
નેતાનો આરોપ:ખુદ પોલીસ અમારા ઉમેદવારને શિંદેના બંગલા પર લઈ ગઈ
મહાપાલિકાની ચૂંટણીઓ આડે થોડા દિવસો બાકી છે અને હવે તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો માટે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. બીજી બાજુ સામદામદંડ ભેદ નીતિ અપનાવવામાં પણ કોઈ કસર બાકી રાખવામાં આવી રહી નથી. મનસે નેતાએ આરોપો કર્યો છે કે મહાયુતિએ બળ અને નાણાકીય લાલચનો ઉપયોગ કરીને વિપક્ષી ઉમેદવારોને અરજીઓ પાછી ખેંચવા માટે દબાણ કર્યું છે, જેથી અમુક બેઠકો પર ચૂંટણીઓ બિનહરીફ થઈ હતી. મનસે નેતા અવિનાશ જાધવે ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદે પર નિશાન સાધતાં જણાવ્યું કે થાણે મહાપાલિકાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીના ઉમેદવારોને તેમની અરજીઓ પાછી ખેંચવા દબાણ કરાયું હતું. અવિનાશ જાધવે એક પોલીસ અધિકારીનો વિડિયો બતાવ્યો છે જેમાં એક મનસે ઉમેદવારને ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદેના થાણે નિવાસસ્થાને લઈ જવામાં આવી રહ્યો છે. જાધવે એમ પણ કહ્યું છે કે ઉમેદવાર શિંદેના ઘરે ગયા પછી પોતાની અરજી પાછી ખેંચી લે છે. આ ઉમેદવારનું નામ વિક્રાંત ઘાગ છે અને હવે આ ઉમેદવારનો મોબાઇલ પણ બંધ છે, એમ જાધવે માહિતી આપી. અવિનાશ જાધવે કહ્યું, આ તે દિવસનો વીડિયો છે જ્યારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવામાં આવ્યા હતા. અમને આ વિડિયો ત્યાં હાજર પત્રકારો દ્વારા મળ્યો છે, અમે ત્યાં કેટલાક કેમેરા લગાવ્યા હતા. અમે હજુ સુધી ઉમેદવારને મળ્યા નથી, તે પોતાનો ફોન બંધ કરીને ગાયબ થઈ ગયો છે. જો કોઈ પોલીસ જ ઉમેદવારને શિંદે પાસે લઈ જાય તો તેને ધમકી આપવામાં આવી જ હશે. જાધવે ચેતવણી આપી છે કે જેમણે શિવસેના મનસે પાર્ટી સાથે દગો કર્યો છે તેમની સાથે અમારી સ્ટાઈલમાં વર્તન કરવામાં આવશે. શિવસેના ઠાકરે જૂથના નેતા રાજન વિચારેએ પણ આ બાબતે ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં 68 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, જેમાં ભાજપના 44 અને શિંદે જૂથના 22 ઉમેદવારનો સમાવેશ થાય છે. બિનહરીફ ચૂંટાવા માટે આ નવો ફંડા શરૂ કરવામાં આવ્યો છે. મશીનમાં ખામી અને મતચોરી પછી, હવે ચૂંટણી પહેલાં જ પૈસા આપીને, ધમકી આપીને અને પોલીસનો ઉપયોગ કરીને ચૂંટણી જીતવાનું કારસ્થાન કરવામાં આવી રહ્યું છે.
રાજ ઠાકરેનો સવાલ:પ. બંગાળમાં બિનહરીફ ચૂંટણીનો વાંધો તો મહારાષ્ટ્રમાં કેમ નહીં?
પશ્ચિમ બંગાળમાં બિનહરીફ ચૂંટણી સામે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો, તો હવે મહારાષ્ટ્રમાં કેમ નહીં? એમ રાજ ઠાકરેએ ભાજપને પૂછ્યું છે. કોઈ પણ સત્તાનો અમરપટ્ટો લઈને આવ્યું નથી. કાલે સત્તા પરિવર્તન થશે અને બીજો કોઈ આવશે અને તે વધુ ખરાબ હશે. શાસક પક્ષે વિચારવું જોઈએ કે તે સમયે તેઓ શું કરશે, એમ રાજ ઠાકરેએ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું. મુંબઈ મહાપાલિકાની ચૂંટણી માટે શિવસેના ઠાકરે જૂથના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ યુતિ કરી છે. રવિવારે શિવસેના ઠાકરે જૂથ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)નો સંયુક્ત ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો હતો. ઢંઢેરાને 'મુંબઈવાસીઓ માટે શિવશક્તિનો ઢંઢેરો' નામ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે બોલતાં, રાજ ઠાકરેએ ઉમેદવારોની બિનહરીફ ચૂંટણીને કારણે પશ્ચિમ બંગાળનું ઉદાહરણ આપીને ભાજપ પર જોરદાર હુમલો કર્યો. મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય સંસ્કૃતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં રાજ ઠાકરેએ કહ્યું, મહારાષ્ટ્રને આ રીતે વાળવું, મહારાષ્ટ્રની આગામી પેઢીઓને વાળવી, મહારાષ્ટ્રમાં રાજકારણમાં પ્રવેશવા માગતા લોકોની વિચારસરણી બદલવી એ મહારાષ્ટ્રના ભવિષ્ય માટે ખતરનાક છે. રાજકીય પક્ષોએ આ બધી બાબતો વિશે વિચારવાની જરૂર છે. દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેને બાળાસાહેબ ઠાકરેના વિચારોના વારસદાર કહ્યા હતા. રાજ ઠાકરેને આ નિવેદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે શરૂઆતમાં ફક્ત હસીને જવાબ આપ્યો હતો. તેમની પ્રતિક્રિયા પૂછી ત્યારે કહ્યું, ખરેખર, હું હસ્યો, હું પછી હસ્યો. હું શાંતિથી હસ્યો. સંજય રાઉત જોરથી હસ્યા. આ મારો જવાબ છે, એમ રાજ ઠાકરેએ કહ્યું. તેમણે આડકતરી રીતે કહેવાનો પ્રયાસ કર્યો કે ફડણવીસનું નિવેદન હાસ્યાસ્પદ હતું. તેઓ ખરેખર તેની પર હસ્યા.
ઠાકરેનું નિવેદન:રાજ્યમાં ટોળાશાહી ચાલી રહી છે, લોકશાહીનો અંત આવ્યો છે: ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે. ચૂંટણીઓ બિનહરીફ કરાવવાની સત્તાધારીઓ દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે, બંધારણીય હોદ્દા પર બેઠેલા લોકો તેમની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે, એમ ઉદ્ધવે જણાવ્યું હતું. રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ શિવસેના ભવનમાં રવિવારે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી અને મુંબઈ મહાપાલિકાની ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં મુંબઈવાસીઓ માટે વચનનામું જાહેર કર્યું હતું. તે સમયે તેઓ બોલી રહ્યા હતા.ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, રાજ્યમાં ટોળાશાહી ચાલી રહી છે, લોકશાહી હવે ખતમ થઈ ગઈ છે. વોટ- હેરાફેરી પછી, ઉમેદવારો ભગાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે, ચૂંટણીઓ બિનહરીફ થઈ રહી છે. રાહુલ નાર્વેકર ધમકીઓ આપી રહ્યા છે. ચૂંટણી પંચે આ મુદ્દાને ગંભીરતાથી લેવો જોઈએ અને તેમને પદ પરથી સસ્પેન્ડ કરવા જોઈએ, એવી માગણી ઠાકરેએ કરી છે.ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, વિધાનસભાના અધ્યક્ષ નિષ્પક્ષ હોય છે. તેઓ ધારાસભ્ય જેવું વર્તન નહીં કરી શકે. બિનહરીફ ઉમેદવારો બળજબરીથી ચૂંટાઈ રહ્યા છે, તેમણે તે સ્થાનના મતદારોને મતદાનથી વંચિત રાખ્યા છે. તેથી, જ્યાં બિનહરીફ ચૂંટણીઓ યોજાઈ છે, ત્યાં ફરીથી ચૂંટણીઓ થવી જોઈએ. વિધાનસભાના અધ્યક્ષ કોઈ પણ પક્ષના પ્રચાર કે સમર્થન માટે જઈ નહીં શકે, પરંતુ નાર્વેકરે વિરોધી પક્ષના નેતાની સુરક્ષા પાછી ખેંચવાનો જે પણ આદેશ આપ્યો છે, તે તેમના અધિકારની બહાર છે. અમે મહાપાલિકાના ભંડોળમાંથી કોસ્ટલ રોડ બનાવ્યો છે અને તે પણ ટોલ ફ્રી છે. મહાપાલિકાની તિજોરીમાં અમે 92 હજાર કરોડ સુધી જમા કરાવ્યા. વિકાસકાર્યો સાથે અમે આ કર્યું છે. નીતિન ગડકરીનો મુંબઈ-ગોવા હાઇવે હજુ પણ બની રહ્યો છે. મહાયુતિએ લગભગ 3 લાખ કરોડનું કૌભાંડ કર્યું છે. મને આ વિશે ખબર પડી છે.
સિટી એન્કર:પવાર સહિત 7 સાંસદ નિવૃત્ત થઈ રહ્યા હોવાથી મોટી ઉથલપાથલ
આગામી વર્ષમાં રાજ્યસભાના રાજકારણમાં મોટા ઊથલપાથલના સંકેતો છે અને 2026નું વર્ષ સંસદીય રાજકારણ માટે ખૂબ જ નિર્ણાયક રહેશે. મહારાષ્ટ્ર અને દેશભરના ઘણા દિગ્ગજ નેતાઓનો રાજ્યસભામાં કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે અને કુલ 71 સાંસદો નિવૃત્ત થવાના છે. આમાં એનસીપીના પ્રમુખ શરદ પવાર સહિત મહારાષ્ટ્રના સાત સાંસદોનો સમાવેશ થાય છે. બીજી તરફ, આ વર્ષે મહત્તમ 30 ભાજપના સાંસદો રાજ્યસભા છોડી રહ્યા હોવાથી, આ ચૂંટણી શાસક અને વિપક્ષી પક્ષો માટે પ્રતિષ્ઠિત રહેશે.2026 માં, દેશના પાંચ રાજ્યોમાં માત્ર રાજ્યસભાની ચૂંટણીઓ જ નહીં પરંતુ વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાશે, તેથી રાજકીય ગતિવિધિઓ વેગ પકડવા જઈ રહી છે. આ પૃષ્ઠભૂમિમાં, રાજ્યસભાની બેઠકોની ગણતરી અને નવા ઉમેદવારોની તપાસ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે, રાજ્યસભામાં કુલ 71 સાંસદોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે અને 1 માર્ચમાં નિવૃત્ત થશે, જેમાં મહત્તમ 37 એપ્રિલમાં, 22 જૂનમાં અને 11 નવેમ્બરમાં નિવૃત્ત થશે. એવી અપેક્ષા છે કે આ નિવૃત્તિઓ સંસદના ઉપલા ગૃહમાં રાજકીય સંતુલન પર મોટી અસર કરશે.રાજ્યસભાની કુલ 245 બેઠકોમાંથી, એપ્રિલ, જૂન અને નવેમ્બર 2026 દરમિયાન 73 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીઓમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત ઘણા દિગ્ગજ નેતાઓનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો હોવાથી, પક્ષોની આંતરિક વ્યૂહરચના, જોડાણો અને સમીકરણોમાં ફેરફાર થવાની સંભાવના છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો કાર્યકાળ 25 જૂન, 2026 ના રોજ સમાપ્ત થશે અને નિવૃત્ત થનારા નેતાઓમાં તેમને સૌથી મોટું નામ માનવામાં આવે છે. તેવી જ રીતે, ભૂતપૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવેગૌડા પણ આ સમયગાળા દરમિયાન રાજ્યસભાને વિદાય આપશે. મહારાષ્ટ્રના રાજકારણ પર નજર કરીએ તો, રાજ્યના સાત રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ 2 એપ્રિલ, 2026ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ ચંદ્ર પવારનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. તેમની સાથે કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્યમંત્રી રામદાસ આઠવલે, ભાજપના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. ભાગવત કરાડ અને સાંસદ ધૈર્યશીલ મોહન પાટીલ પણ નિવૃત્ત થઈ રહ્યા છે. શિવસેના ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે જૂથના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, કોંગ્રેસના રજની પાટિલ અને એનસીપી શરદ પવાર જૂથના ડૉ. ફૌઝિયા ખાનનો કાર્યકાળ પણ તે જ દિવસે સમાપ્ત થશે. તેથી, સૌનું ધ્યાન મહારાષ્ટ્રમાંથી નવા ચહેરાઓને તક મળશે કે જૂના ચહેરાઓને ફરીથી નોમિનેશન આપવામાં આવશે તેના પર છે. રાજકીય સમીકરણો બદલાવાની શક્યતા: ઉત્તર પ્રદેશના ઘણા મહત્ત્વપૂર્ણ નામો પણ રાજ્યસભામાંથી નિવૃત્ત થવાના છે. મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રીઓ હરદીપ સિંહ પુરી અને બી. એલ. વર્માનો કાર્યકાળ 25 નવેમ્બર, 2026 ના રોજ સમાપ્ત થશે. આ જ સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશના વધુ આઠ રાજ્યસભા સાંસદો નિવૃત્ત થશે, તેથી દેશના સૌથી મોટા રાજ્યમાં રાજકીય સમીકરણ બદલાવાની શક્યતા છે. આ ઉપરાંત, કેન્દ્રીય મંત્રીઓ રવનીત સિંહ બિટ્ટુ અને જ્યોર્જ કુરિયનનો કાર્યકાળ પણ આવતા વર્ષે સમાપ્ત થશે. આ યાદીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહનો પણ સમાવેશ થાય છે અને તેમની નિવૃત્તિ કોંગ્રેસની રાજ્યસભાની રણનીતિને અસર કરી શકે છે. કયા નિવૃત્ત સૈનિકો વિદાય લેશે?રાષ્ટ્રપતિ પદના નોમિનેશન ક્વોટા દ્વારા રાજ્યસભામાં નિયુક્ત થયેલા ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈનો કાર્યકાળ માર્ચ 2026 માં સમાપ્ત થશે. તેથી, ન્યાયતંત્ર, રાજકારણ અને સંસદીય પ્રક્રિયા વચ્ચેના સંબંધો પર નવેસરથી ચર્ચા થવાની શક્યતા છે. એકંદરે, 2026 માં રાજ્યસભાની ચૂંટણીઓ ફક્ત સભ્યોના પરિવર્તન સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ કેન્દ્રમાં સત્તા સંતુલન, રાજ્યોમાં રાજકીય સત્તા અને આગામી વિધાનસભા ચૂંટણીઓના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. સંસદમાં કયા નવા ચહેરા પ્રવેશ કરશે અને કયા દિગ્ગજો વિદાય લેશે તેના પર સમગ્ર દેશ ધ્યાન આપી રહ્યો છે.
RTO એક્શન મોડમાં:વાહન પર એચએસઆરપી પ્લેટ માટે મુદત પૂરી થતા આરટીઓની કાર્યવાહી
હજી પણ વાહનની નંબરપ્લેટ પર ફેન્સી લખાણ હશે અને એચએસઆરપી પ્લેટ નહીં હોય તો આરટીઓ કાર્યવાહી કરશે. મહારાષ્ટ્રમાં હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ લગાડવાની છેલ્લી મુદત 31 ડિસેમ્બર 2025 અધિકૃત રીતે પૂરી થઈ છે. 1 જાન્યુઆરી 2026થી રાજ્યમાં આરટીઓ અને પરિવહન પોલીસે એચએસઆરપી નંબરપ્લેટ વિનાના વાહનો વિરુદ્ધ કમર કસી છે અને હવે સોરી, ભૂલી ગયો એવું બહાનું નહીં ચાલે. 1 એપ્રિલ 2019 પહેલાં નોંધમી થયેલા તમામ જૂના વાહનો પર એચએસઆરપી નંબરપ્લેટ લગાડવી ફરજિયાત કરવામાં આવ્યું હતું. સરકારે અનેક વખત મુદતવધારો આપવા છતાં લાખો વાહનધારકોએ એના પર દુર્લક્ષ કર્યું. જો કે હવે સરકારનું વેઈટ એન્ડ વોચ ધોરણ ખતમ થયું છે. જેમણે 31 ડિસેમ્બર સુધી એપોઈંટમેન્ટ લીધી નથી તેમના માટે નવા વર્ષની શરૂઆત દંડથી થઈ શકે છે. એચએસઆરપી નંબરપ્લેટ વિના વાહન સાથે પહેલી વખત પકડાયા તો એક હજાર રૂપિયા દંડ કરવામાં આવશે. નિયમનું ઉલ્લંઘન કરતા બીજી વખત પકડાયા તો 5000થી 10 હજાર રૂપિયા સુધી દંડ કરવામાં આવશે. સૌથી મહત્વની વાત એટલે જે વાહન પર એચએસઆરપી નંબરપ્લેટ નહીં હોય તેઓ આરટીઓના મહત્વના કામ (ઉદાહરણ તરીકે માલિકી હસ્તાંતરણ, પાસિંગ અથવા ફિટનેસ પ્રમાણપત્ર) કરી શકશે નહીં. ડેડલાઈન પૂરી થઈ છે છતાં ગભરાવાનું કોઈ કારણ નથી. તમારે તરત મહારાષ્ટ્ર પરિવહન વિભાગના અધિકૃત પોર્ટલ પર જવું. પોતાના વાહનની વિગત ભરીને ઓનલાઈન ફી ભરો અને ફિટમેંટ માટે એપોઈંટમેન્ટ બુક કરવી. જો તમારી પાસે અધિકૃત એપોઈંટમેન્ટની રસીદ હશે તો પોલીસ તમારા પર કાર્યવાહી નહીં કરે. છતાં હવે આળસ કરશો તો મોંઘુ પડશે. દરમિયાન આ નંબરપ્લેટ ફક્ત ફેન્સી નથી પણ તમારા વાહનની સુરક્ષા માટે છે. એમાં રહેલાં લેઝર કોડના લીધે તમારું વાહન ચોરી થશે તો એને શોધવું સહેલુ થશે.
IPL:મુસ્તાફિઝુરને પડતો મુકવાના નિર્ણય પછી ધમકી
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના પ્રવક્તા આનંદ દુબેએ રવિવારે દાવો કર્યો કે 2026ની આઈપીએલની ટીમમાંથી બાંગ્લાદેશી પેસ બોલર મુસ્થાફિઝુર રહમાનને પડતા મૂકવા માટે કોલકતા નાઈટ રાઈડર્સને નિર્દેશ આપવાના બીસીસીઆઈના નિર્ણયને વધાવી લેતાં તેને જાનથી ખતમ કરવાની ધમકી મળી રહી છે. દુબેને શનિવારે અજ્ઞાત વ્યક્તિ પાસેથી વ્હોટ્સએપ નંબર અને ફોન કોલ પર ધમકીભર્યા મેસેજીસ પ્રાપ્ત થયા છે, એમ કાંદિવલી સમતાનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ રવિવારે જણાવ્યું હતું. આ અંગે ભારતીય ન્યાય સંહિતાની કલમ 352 (શાંતિભંગ કરવા માટે હેતુપૂર્વક અપમાન) અને 351 (4) (ફોજદારી ધાકધમકી) હેઠળ અદખલપાત્ર ગુનો (એનસી) દાખલ કરવામાં આવી છે અને આરોપીનું પગેરું મેળવવા અને અટકાયતમાં લેવા માટે પ્રયાસ ચાલુ છે, એમ તેમણે જણાવ્યું હતું. સોશિયલ મિડિયા પર વિગતવાર પોસ્ટ શૅર કરતાં દુબેએ દાવો કર્યો કે બીસીસીઆઈના પગલાને ઉત્તમ નિર્ણય ગણાવવા માટે તેને ગાળાગાળી કરાઈ અને ધાકધમકી આપવામાં આવી હતી. આ મુદ્દો અત્યંત ગંભીર છે. આથી પોલીસ અને રાજ્ય સરકારે તેને ગંભીરતાથી લેવું જોઈએ, એમ ઠાકરે સેનાના નેતાએ જણાવ્યું હતું. કોલકતા નાઈટ રાઈડર્સે રહમાનને છૂટો કર્યો છે. આઈપીએલની લિલામીમાં રહમાનની સેવાઓ માટે તેને રૂ. 9.2 કરોડમાં ખરીદી કરવાં આવ્યો હતો. જોકે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી તણાવ વધવાને લીધે બોર્ડ ઓફ કંટ્રોલ ઓફ ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) દ્વારા તેને પડતો મૂકવાના નિર્દેશ અભિનેતા શાહરુખ ખાનની ટીમ કેકેઆરને અપાયા હતા.
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... શમશેરસિંહની વાપસી: “આવો ને બેસો” કે “આવો ને જોઈ લો”?કે.એલ.એન. રાવને ઇન્ચાર્જ DGP બનાવ્યાને હજી 48 કલાક પણ નહોતા થયા ત્યાં દિલ્હી ડેપ્યુટેશન પરથી શમશેરસિંહની વાપસી. જાણે ક્રિકેટમાં નેટ પ્રેક્ટિસ ચાલતી હોય અને અચાનક સિનિયર ખેલાડી પેડ પહેરીને મેદાનમાં ઉતરી આવે. કેટલાક બોલ્યા – “હવે તો નવા સમીકરણ બનશે.” કેટલાકે કહ્યું – “અરે ભાઈ, આ તો રૂટીન છે.” પણ ગુજરાતમાં રૂટીન શબ્દ પણ ઘણી વખત રહસ્ય જેવો જ લાગે. નિવૃત્તિ પહેલાં DGP તરીકે પરત આવવાની ઇચ્છા, નિયમોની 6 મહિનાની દીવાલ અને ત્રણ મહિનાનો સમય… બધું ગણિતમાં તો બંધબેસતું નથી, પણ અહીં ગણિત કરતાં રાજકીય અલ્જેબ્રા વધારે ચાલે છે. એટલે જ લોકો હજુ પણ કહી રહ્યા છે – “કઈ નવાઈ નહીં, કાલે ફરી કોઈ ટ્વિસ્ટ આવે.” છ નહીં, સાત નહીં… સીધા આઠ DG!“ઘરમાં મહેમાન વધે તો રસોઈ મુશ્કેલ, અને પોલીસમાં DG વધે તો પોસ્ટિંગ મુશ્કેલ.” ગુજરાત પોલીસમાં હવે DGની સંખ્યા આઠ. પહેલાં છ, પછી સાત અને હવે શમશેરસિંહની વાપસી સાથે આઠ. વર્ષો પહેલાં 1985 બેચ વખતે સાત DG હતા, પણ આઠ? એવું તો પહેલીવાર. મુખ્ય DGP એક, બાકી બધા DG – એટલે ભાષામાં કહીએ તો “સિંહ એક, પણ ગર્જના ઘણી.” 14 DIG અને પોસ્ટિંગ ઝીરોપ્રમોશન મળી ગયું, ફૂલોની માળા પણ પહેરાઈ ગઈ, પણ પોસ્ટિંગ? DIG બનીને પણ ઘણા અધિકારીઓ ઘેર બેઠા છે. કુલ 14 DIG “વેઇટિંગ ફોર પોસ્ટિંગ”. એક અધિકારીએ તો મજાકમાં કહ્યું – “પ્રમોશન તો મળ્યું, હવે બદલી ભગવાન ભરોસે.” બદલીના ઓર્ડર ‘આવે છે, આવે છે’ કહીને તારીખ પર તારીખ. જાણે સરકારી કૅલેન્ડરમાં Tomorrow નામનો દિવસ જ સૌથી લાંબો હોય! ફાઈલ પર સહી કરતા કલેક્ટરોની કલમ કંપે છેસુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર સામે કાર્યવાહી બાદ હવે વધુ એક મોટા જિલ્લાના કલેક્ટર સામે ઇન્કવાયરીની ચર્ચા. સત્તાવાર કોઈ બોલતું નથી, પણ સચિવાલયની દિવાલો ઘણું સાંભળી લે છે. “એક પર એક્શન થાય તો બીજા સીધા થઈ જાય” – આ કહેવત અહીં સાચી પડી રહી છે. ED અને ACBની એન્ટ્રી પછી જિલ્લાઓમાં કલેક્ટરો હવે ફાઈલ પર સહી કરતાં પણ બે વાર વાંચે છે. મંત્રીઓ, PA-PS અને નવી ખુરશીઓકેટલાક નવા મંત્રીઓને જુના મંત્રીઓના PA-PS પસંદ નથી. એટલે ઓળખીતાને ગોઠવવાની દોડ. એક PAએ તો ચેમ્બરનો દરવાજો બદલી નાખ્યો, નવી ખુરશી મંગાવી… જાણે સંદેશો હોય – “હું આવ્યો છું, સેટિંગ સાથે.” સોશિયલ મીડિયા,પોસ્ટ અને ડિલીટગાંધીનગરમાં એક મહિલા કાર્યકર્તાની સોશિયલ મીડિયા પોસ્ટે પક્ષમાં ગરમાવો લાવ્યો. આરોપ, પ્રતિઆરોપ અને પછી ઉપરથી ફોન અને પોસ્ટ ડિલીટ. અહીં એક કહેવત યાદ આવે – “લખતા પહેલાં વિચાર, ડિલીટ પછી અફસોસ.” પોસ્ટ ગઈ, પણ વાત રહી ગઈ. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર CTP તરીકે નિવૃત થયેલા અધિકારીને કોન્ટ્રાક્ટ પર લેવાયાગુજરાતના ઈતિહાસમાં અગાઉ ક્યારેય ન બન્યુ હોય તેવી એક ઘટના બની છે. જેમાં સીટીપી એટલે કે ચીફ ટાઉન પ્લાનર તરીકે એક નિવૃત્ત થયેલા અધિકારીને કોન્ટ્રાક્ટ બેઝ પર રખાયા છે. પ્રમોટી આઈએએસ અધિકારી ધર્મેન્દ્રસિંહ જાડેજા 31મી ડિસેમ્બરે નિવૃત્ત થયા હતા. આ પદ ખુબ જ મહત્વનુ અને ટેકનિકલ છે. તેઓ નિવૃત્ત થયાના દિવસે જ તેઓને એક વર્ષનો કોન્ટ્રાક્ટ કરીને 1લી જાન્યુઆરીથી જ ચીફ ટાઉન પ્લાનર તરીકેની ફરજોમાં ચાલુ રખાયા છે. આશ્ચર્યની વાત એ છે કે, 31મીએ તેમનો વિદાયમાન સમારોહ યોજાયો હતો. જેમાં તેમને વિદાય આપવા માટે પણ કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવી રહેલા ચૈતન્ય શાહ, રાજકોટના આગકાંડમાં સંડોવાયેલા સાગઠીયાના સગા ભાઈ, રાજેશ રાવલ પ્રકાશ દત્તા વગેરે હતા. આ બધા લોકો સ્ટેજ પર હતા જ્યારે યુવાન અધિકારીઓ સામે બેઠા હતા. જેને લઈને ચર્ચા શરૂ થઈ છે કે, ગુજરાતમમાં સૌથી વધુ અર્બનાઈઝેશન થયુ છે. આમ છત્તા આટલી મોટી પોસ્ટ માટે આખા ગુજરાતમાં શું કોઈ લાયકાત વાળો બીજો અધિકારી જ નથી કે નિવૃ્ત્ત થતા બિન ટેકનિકલ અધિકારીને કોન્ટ્રાક્ટબેઝ પર લેવાની ફરજ પડી ? સતત સાત વાઈબ્રન્ટ સમિટમાં કામગીરી કરનારા ACS એસ.જે. હૈદર વયનિવૃત31મી ડીસેમ્બરે એડિશનલ ચીફ સેક્રેટરી એસ. જે. હૈદર વયનિવૃત્ત થયા છે. તેઓએ છેલ્લા દિવસે મોડે સુધી કામ કર્યુ હતું. રાત્રે સાડા આઠ વાગ્યે તમામ પેન્ડીંગ કામ પતાવીને સ્ટાફને મળ્યા બાદ તેઓ મુખ્યમંત્રી અને મુખ્યસચિવને મળવા ગયા હતા ત્યાર બાદ તેઓ ઘરે ગયા હતા. આ એવા અધિકારી છે કે જેમને 2003માં વાઈબ્રન્ટ શરુ થઈ ત્યારથી કોઈને કોઈ મહત્વની ભુમિકા ભજવી હતી. તેઓએ 2009, 2011,2013,2015,2019માં વાઈબ્રન્ટ સમિટમાં ખુબ જ અગત્યની કામગીરી કરી હતી. છેલ્લે 2024મા મહેસાણામાં યોજાયેલી રીજિયોનલ વાઈબ્રન્ટ સમિટમાં પણ તેઓનુ યોગદાન ખુબ જ મહત્વનુ હતુ. આ સમિટમાં સૌથી વધુ એટલે કે કુલ એમઓયુ પૈકીના 80 ટકા એમઓયુ માત્ર એનર્જી ડીપાર્ટમેન્ટ સાથે થયા હતા. ગત વર્ષે ડીસામાં યોજાયેલા એક મોટા કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ એવી કોમેન્ટ કરી હતી કે, આ વખતની વાઈબ્રન્ટનુ આયોજન શાનદાર રહ્યું હતુ. હું મુખ્યમંત્રી હતો ત્યારે પણ આવો કાર્યક્રમ નહોતો થઈ શક્યો. મારાથી વધુ સારો કાર્યક્રમ કરાયો છે. હું તેના માટે સીએમની ટીમનો આભાર માનુ છું. જો કે, બુધવારે હૈદર માટે છેલ્લી કેબિનેટ હતી. જેમાં મુખ્યમંત્રીએ પણ તેમની ભારોભાર પ્રસંશા કરી હતી. ઉપરાંત મુખ્યસચિવ સહિતના સિનિયર અધિકારીઓએ પણ તેમને ભાવપૂર્વક વિદાય આપી હતી. બિલાડીને દૂધના રખોપા, ભાજપ સંગઠનની એક એવી નિમણૂક થયા બાદ કાર્યકરોમાં ચર્ચાભાજપના નવા પ્રદેશ પ્રમુખે પોતાની ટીમ બનાવી છે. જેમાં યુવાનોને ખાસ્સુ મહત્વ સાથે સ્થાન અપાયુ છે. જેમાં ભુતકાળમાં ભાજપમાં અને સરકારમાં વર્ચસ્વ ધરાવતા હતા તેવા કેટલાક નેતાઓના જૂથને સાફ કરી નખાયુ છે. ઉપરાંત આ સંગઠન અત્યાર સુધીનુ સૌથી નબળુ સંગઠન હોવાની વાત પણ છે. એક નિમણૂકમાં જૂના ખેલાડીને ફરીથી મેદાનમાં લાવવામાં આવ્યા છે. જેને લઈને ભાજપના નાના મોટા કાર્યકરોમાં ચર્ચા સાથે ગણગણાટ શરૂ થયો છે. કાર્યકરો મઝાક કરી રહ્યા છે કે, આ તો પંચાલ સાહેબે બિલાડને દૂધના રક્ષણની જવાબદારી સોંપી છે. હવે ભવિષ્યમાં શુ થશે એ રામ જાણે. આવી ચર્ચા પાછળનુ કારણ એવુ છે કે, આ નેતાની ઈમેજ એટલી ચોખ્ખી નથી. વહીવટ કરવામાં તેમનુ નામ અવ્વલ છે. જો કે,મોટા નેતાઓની નજીક રહેવામાં માહીર ગણાતા આ નેતા હવે દૂધના રખોપા કરે છે કે પછી દૂધ પોતે પી જાય છે તે જોવાનુ પણ રસપ્રદ બનશે. CMOમાં કોન્ટ્રાક્ટ પર રહેલા ચૈતન્ય શાહે પોતાના વિશ્વાસુને શહેરી ખાતામાં મુકાવી દીધાવયનિવૃત્ત અધિકારી ચૈતન્ય શાહને સીએમઓમાં લઈ જવાયા હતા. જો કે, મંત્રીમંડળના વિસ્તરણ બાદ હવે સીએમ પાસે શહેરી વિભાગ રહ્યો નથી. જ્યારે ચૈતન્ય શાહની વહીવટી આવડત અને જ્ઞાન શહેરી વિભાગ પૂરતુ સિમિત છે. હવે તેમની પાસે ખાસ કોઈ કામગીરી રહી નથી. આમ છત્તા મહીને એક લાખનો પગાર અને અન્ય સુવિધા મેળવી રહ્યા છે. એટલુ જ નહી સીએમઓના પાવરનો પણ ધૂમ ઉપયોગ કરી રહ્યા છે. તેઓએ તાજેતરમાં જ પોતાની વગ વાપરીને ટીપીઓ કક્ષાના અધિકારી રાજન મુરબીયાને ગાંધીનગરની કલેક્ટર કચેરીમાં એસટીપીનો ચાર્જ અપાવ્યો હતો. હવે ફરીથી તેમને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈના કાર્યાલયમાં પર્સનલ સેક્રેટરી તરીકે મુકાવવામાં મહ્તવની ભૂમિકા ભજવી હોવાની ચર્ચા છે.આમ આ રીતે તેઓ હવે શહેરી વિકાસ વિભાગની કેટલીક ફાઈલોમાં તેમજ અન્ય કેટલીક કામગીરીમાં હસ્તક્ષેપ કરી શકે છે. કોના બાપની દિવાળી?, ડિમોલિશન કામગીરી સમયે સાહેબોને બેસવા માટે ખુરશી પાછળ 1 લાખનો ખર્ચ!અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રજાના પૈસાનો ખર્ચ કરવામાં ક્યાંય પણ કચાશ બાકી રાખતી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના અધિકારીઓને જૂની ખુરશી નહીં પરંતુ નવી ખુરશીમાં બેસવામાં રસ છે. શહેરના ચંડોળા તળાવના ડિમોલેશન વખતે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના અધિકારીઓને બેસવા માટે એક લાખ રૂપિયાની ખુરશી ખરીદી હતી. કોર્પોરેશનમાં કામગીરી કરનારી માહિતી એજન્સીને લાભ કરાવવા માટે થઈને ખાલી અધિકારીઓને બેસવા માટે 1 લાખ રૂપિયાની નવી ખુરશી ખરીદી લીધી હતી. ચંડોળા તળાવની કામગીરી ચારથી પાંચ દિવસ માટે ચાલી હતી. સાહેબોને બેસવા માટે જૂની ખુરશીઓ ના જોઈએ પણ નવી ખુરશી મંગાવી લીધી હતી. જેનું બિલ પણ પાસ કરી દેવામાં આવ્યું છે અને એજન્સીને એક લાખ રૂપિયાનો ફાયદો પણ થઈ ગયો છે. પ્રદેશ ભાજપ બાદ હવે શહેર-જિલ્લા ભાજપના નવા સંગઠનની રચનાની તૈયારી ગુજરાત પ્રદેશ ભાજપનું નવું સંગઠન જાહેર થઈ ચૂક્યું છે ત્યારે હવે પ્રદેશના શહેર અને જિલ્લાના નવા સંગઠનની જાહેરાત થવાની તૈયારીઓ ચાલી રહી છે. જેની વચ્ચે અમદાવાદના શહેર પ્રમુખ બદલાવવા અંગેની ચર્ચા શરૂ થઈ હતી. છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેર ભાજપમાં આંતરિક ઊકળતો ચરું જોવા મળી રહ્યો છે. શહેર ભાજપના પ્રમુખ અને કેટલાક નેતા- ધારાસભ્યો વચ્ચે આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. શહેરના કેટલાક નેતાઓ પ્રમુખ સામે પડ્યા હોવા અંગેની ચર્ચા છે તો બીજી તરફ કેટલાક નેતાઓ એવું પણ કહી રહ્યાં છે કે પ્રમુખ માત્ર પોતાની કામગીરી બતાવવા માટે દરેક જગ્યાએ પોતાની વાહવાહી મેળવી રહ્યા છે. અમદાવાદ શહેર ભાજપની આંતરિક જૂથબંધીને લઈ સંગઠનમાં ફેરફાર થવાની ચર્ચાઓ તેજ બની છે. પ્રદેશ સંગઠનનમાં સ્થાન ન મળતા હવે શહેર-જિલ્લામાં સ્થાન મેળવવાના પ્રયાસો શરૂગુજરાત પ્રદેશ ભાજપનું નવું માળખું તૈયાર થઈ ચૂક્યું છે. પ્રદેશ સંગઠનમાં પ્રદેશ પ્રમુખની સાથે ઝભ્ભા પકડીને ચાલનારા નેતાઓની હકાલપટ્ટી થઈ હોય તેમ ક્યાંય મહત્વનું પદ મળ્યું નથી. પરંતુ શહેર અને જિલ્લા સંગઠનોમાં ક્યાંક હજી પણ સ્થાન મળે એવી આશા છે. અમદાવાદ શહેર સંગઠનમાં મહામંત્રી તરીકે ત્રણ મોટા યુવા નેતાઓના નામ ચર્ચામાં છે. યુવા મોરચાના પ્રમુખ તરીકે પાટીદાર નેતા મૂકવામાં આવી શકે છે જેમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના બે નેતાઓના નામની ચર્ચા છે. શહેર સંગઠનમાં સ્થાન મેળવવા માટે કેટલીક મહિલાઓ પણ સક્રિય થઈ ચૂકી છે. મહામંત્રી તરીકે મહિલા નેતાઓની પણ નિમણૂક થઈ શકે છે જેમાં પૂર્વ મેયરથી લઈને હાલના ચાલુ હોદ્દેદારો પણ ચર્ચામાં છે. મહિલા પ્રમુખ તરીકેના પૂર્વ વિસ્તારની બે મહિલા નેતાઓના નામની ચર્ચા છે. રાજકારણ અને ભ્રષ્ટાચારને લઈ સુરેન્દ્રનગર ચર્ચામાંરાજ્યમાં ઝાલાવાડ તરીકે ઓળખાતા પ્રદેશ એવા સુરેન્દ્રનગર જિલ્લો આજકાલ ખૂબ ચર્ચામાં છે. રાજકારણ અને ભ્રષ્ટાચાર એમ બંને માટે ચર્ચામાં રહ્યો છે જેની પાછળનું કારણ એવું છે કે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની રચના થઈ છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી બે મહત્વના પદ આપવામાં આવ્યા છે. પ્રદેશ મહામંત્રી અને ઉપપ્રમુખનું પદ આપવામાં આવ્યું જેથી સુરેન્દ્રનગર જિલ્લાનું કદ સંગઠનમાં વધ્યું છે. જોકે રાજકરણ સાથે ભ્રષ્ટાચારની પણ ચર્ચા એટલી જોરસોરથી થઈ છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનો બીન ખેતી કરવા માટે કરોડો રૂપિયાની લાંચના પ્રકરણમાં કલેકટર અને નાયબ મામલતદારની ધરપકડ કરી છે અગાઉના કલેકટરો પણ ગેરરીતિમાં પકડાઈ ચૂક્યા છે ત્યારે હવે સુરેન્દ્રનગર રાજ્યમાં ચર્ચામાં છે.
ગયા વર્ષે એપ્રિલમાં મહિલા દર્દી તનીષાના મૃત્યુ સંબંધમાં દીનાનાથ મંગેશકર હોસ્પિટલના ટ્રસ્ટીઓ વિરુદ્ધ જોઈન્ટ ચેરિટી કમિશનર ઓફિસ દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે, એમ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું. તનિષા ભિસે ભાજપના વિધાનસભ્ય અમિત ગોરખેના પર્સનલ સેક્રેટરીની પત્ની હતી. તેને ગર્ભવતી હતી. તબિયત બગડતાથી તેને સંબંધીઓ દ્વારા દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જોકે હોસ્પિટલમાંથી તેને રૂ. 10 લાખ ડિપોઝિટ જમા કરાવવા કહ્યું, જે નહીં કરાવાતાં દાખલ કરી લેવાઈ નહોતી. આ પછી દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં જોડિયા બાળકીઓને જન્મ આપ્યા પછી તેનું મૃત્યુ થયું હતું. આ મૃત્યુને કારણે પૈસા માટે હોસ્પિટલમાં દાખલ નહીં કરવા બદલ જનતામાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આથી આ વિવાદ ભારે ચગ્યો હતો, જે પછી સરકાર દ્વારા તપાસ માટે સાસૂન જનરલ હોસ્પિટલ દ્વારા સમિતિ સ્થાપવામાં આવી હતી. આ સમિતિના અહેવાલ પછી દીનાનાથ મંગેશકર હોસ્પિટલના ડો. સુશ્રૂત ઘૈસાસ વિરુદ્ધ પુણે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ હોસ્પિટલ ધર્માદા હેઠળ આવતી હોવાથી જોઈન્ટ ચેરિટી કમિશનરની ઓફિસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસમાં દર્દીને કટોકટીમાં સારવાર આપવાનો ઈનકાર કરવા માટે હોસ્પિટલને જવાબદાર ઠરાવવામાં આવી હતી. આ પછી ચેરિટી કમિશનર ઓફિસ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે. ચેરિટી કમિશનર ઓફિસ દ્વારા હોસ્પિટલના ટ્રસ્ટીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે એ વાતને સમર્થન આપવામાં આવ્યું હતું. અમે ચાર કલાક દેખરેખ રાખીઃ હોસ્પિટલદરમિયાન દીનાનાથ મંગેશકર હોસ્પિટલે જણાવ્યું કે અમે શનિવારે ચેરિટી કમિશનર ઓફિસમાંથી કોઈ પણ અહેવાલ પ્રાપ્ત થયો નથી. તનિષા ભિસે પર અમારી હોસ્પિટલમાં ચાર કલાક સુધી દેખરેખ રાખવામાં આવી હતી. આ પછી તેના પરિવારે ડોક્ટરોને જાણકારી આપ્યા વિના તનિષાને અન્ય હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લીધો હતો. આ પછી તનિષાનો પરિવાર તેને હોસ્પિટલમાંથી ખાનગી વાહનમાં લઈ ગયો હતો. અમારી હોસ્પિટલનો ડોક્ટર તેમની પાછળ દોડ્યો હતો, પરંતુ તેઓ રોકાયા નહોતા, એમ દીનાનાથ મંગેશકર હોસ્પિટલ દ્વારા એક નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે.
સિટી એન્કર:ભાઈંદરથી પકડવામાં આવેલા માર્ગ ભૂલેલો દીપડો કુદરતી નિવાસમાં મુક્ત
થોડા દિવસ પહેલાં ભાઈંદરથી સુરક્ષિતપણે પકડવામાં આવેલા દીપડાને ફરીથી પોતાના કુદરતી પરિસરમાં છોડવામાં આવ્યો છે. સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન અને થાણે વન વિભાગ તરફથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. માર્ગ ભૂલીને માનવ વસતિમાં આવી ચડેલા દીપડાનું ફરીથી સુરક્ષિત પુનર્વસન કરવામાં આવ્યું છે. હવે એના પ્રવાસ માર્ગ પર ધ્યાન રાખવામાં આવશે. વન વિભાગના જણાવ્યા અનુસાર માનવ અને વન્યજીવનું સહઅસ્તિત્વ જાળવવાની દષ્ટિએ આ હકારાત્મક પગલું માનવામાં આવે છે. ભાઈંદર પૂર્વની પારિજાત હાઉસિંગ સોસાયટીમાં ડિસેમ્બર મહિનામાં એક દીપડો પહોચ્યો હતો. એના લીધે થોડો સમય આ પરિસરના નાગરિકોમાં ડરનું વાતાવરણ નિર્માણ થયું હતું. તેમ જ આ દીપડાએ થોડા જણને ગંભીર જખમી કર્યા હતા. નેશનલ પાર્ક અને થાણે વન વિભાગ તથા બચાવ ટીમ તરફથી આ દીપડાને સુરક્ષિતપણે પકડવામાં આવ્યો હતો. એ પછી એને નેશનલ પાર્કમાં તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. તપાસ પછી નિરોગી હોવાનો અહેવાલ આવ્યા બાદ કેદ કરેલા દીપડાને ફરીથી તેના કુદરતી અધિવાસમાં છોડવાની દષ્ટિએ પ્રક્રિયા શરૂ કરવામાં આવી. એના માટે વન્ય અધિકારીઓની સમિતિમાં થયેલી ચર્ચા પછી દીપડાને ફરીથી તેના કુદરતી અધિવાસમાં છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો. એ પછી આ સંપૂર્ણ પ્રક્રિયા નેશનલ પાર્કના વનસંરક્ષક અને સંચાલક અનિતા પાટીલ અને થાણે વન વિભાગના ઉપવનસંરક્ષક સચિન રેપાળના માર્ગદર્શન હેઠળ પાર પડી હતી. પ્રવાસ માર્ગ પર નજરદીપડાને ફરીથી તેના મૂળ અધિવાસમાં છોડવામાં આવ્યો એ પહેલાં એને સેટેલાઈટ કોલર અને માઈક્રોચીપ લગાડવામાં આવી. એ પછી તેને છોડવામાં આવ્યો. જીપીએસ યંત્રણાના લીધે તેના પ્રવાસના માર્ગની નોંધ રાખવામાં આવે છે. એના માટે વન વિભાગના કર્મચારી અને એક સ્વયંસેવી સંસ્થાની સંશોધક ટીમ જીપીએસ અને રેડિયો સિગ્નલના આધારે દીપડાના પ્રવાસમાર્ગ પર નજર રાખી રહી છે. અત્યારે આ દીપડાની જ્યાં અવરજવર છે તેને છોડવામાં આવેલા પરિસરમાં જ છે. એ આ જ પરિસરનો હોવાથી દીપડો તેના કુદરતી અધિવાસમાં ઠરીઠામ થયો હોવાની માહિતી વન વિભાગ તરફથી આપવામાં આવી છે. જીપીએસ સિસ્ટમના લીધે દીપડાને તેના મૂળ અધિવાસમાં છોડવામાં આવ્યા પછી એની હિલચાલ પર નજર રાખવી શક્ય થયું અને એનું યોગ્ય વ્યવસ્થાપન કરી શકાય છે. આવી ઉપાયયોજનાને લીધે માનવ અને વન્યજીવનું સહઅસ્તિત્વ જાળવવામાં મદદ થાય છે એમ અનિતા પાટીલે જણાવ્યું હતું.
મંડે પોઝિટીવ:2026માં મેટ્રો-2બી, મેટ્રો-9, મેટ્રો-4, મેટ્રો-4એના પહેલા તબક્કાની શરૂઆત
નવા વર્ષમાં મુંબઈગરા માટે રાહતના સમાચાર છે. આ વર્ષમાં મુંબઈગરાની સેવામાં ત્રણ મેટ્રો રૂટના પહેલા તબક્કાની શરૂઆત કરવામાં આવશે. એમાં એક રૂટ ઉત્તર મુંબઈને ભાઈંદર સાથે જોડશે, બીજો રૂટ થાણેના ઘોડબંદર રોડ પર દોડશે તો ત્રીજો રૂટ પૂર્વ મુંબઈમાં છે. મુંબઈમાં કુલ 17 મેટ્રો રૂટનું 350 કિલોમીટરનું જાળુ બિછાવવામાં આવશે. એમાંથી લગભગ 70 કિમીના ચાર મેટ્રો રૂટ પ્રવાસીઓની સેવામાં ચાલુ છે. હવે 2026માં ત્રણ મેટ્રો રૂટના પહેલા તબક્કામાં લગભગ 22 કિમી સુધી મેટ્રો ટ્રેન શરૂ થશે.પશ્ચિમ મુંબઈને પૂર્વ કિનારાપટ્ટી સાથે જોડતો મેટ્રો-2બી રૂટ ઈએસઆઈસી નગરથી મંડાલા છે. આ રૂટનો પહેલો તબક્કો મંડાલાથી ચેંબુર સુધી પાંચ સ્ટેશનનો છે. આ તબક્કો તૈયાર છે. જો કે વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન થવાનું હોવાથી પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવ્યો નથી. આ રૂટ 2026માં શરૂ થશે. મેટ્રો-2બીના પહેલા તબક્કામાં મંડાલા, માનખુર્દ, બીએસએનએલ (ગોવંડી), શિવાજી ચોક (ચેંબુર) અને ડાયમંડ ગાર્ડન એમ પાંચ સ્ટેશન છે.એલિવેટેડ મેટ્રો-9 રૂટ દહિસરથી નેતાજી સુભાષચંદ્ર બોઝ મેદાન (ભાઈંદર) સુધીનો છે. આ રૂટના ચાર સ્ટેશનના પહેલા તબક્કાની તૈયારી પૂરી થઈ છે. વડાપ્રધાનના હસ્તે આ રૂટના પહેલા તબક્કાનું ઉદઘાટન થવાનું છે. આચારસંહિતા પૂરી થયા પછી 2026ની શરૂઆતમાં આ તબક્કો પ્રવાસીઓ માટે શરૂ થશે. આ રૂટના પહેલા તબક્કામાં દહિસર પૂર્વ, પાંડુરંગવાડી, મિરાગાવ અને કાશીગાવ સ્ટેશનનો સમાવેશ છે.. થાણેને હજી થોડા મહિના પ્રતિક્ષા : ગાયમુખ-કાસારવડવલી-ઘાટકોપર-વડાલા મેટ્રો-4 અને મેટ્રો-4એ થાણે મેટ્રો તરીકે જાણીતી છે. 2025ના ડિસેમ્બરમાં આ મેટ્રો રૂટનો પહેલો તબક્કો શરૂ થવાનો હતો. પણ હજી થયો નથી. ગાયમુખથી વિજયનગરી સુધી પાંચ સ્ટેશનમાં પરીક્ષણ કર્યા પછી આ રૂટનો પહેલો તબક્કો તૈયાર હોવાનું જણાવવામાં આવ્યું. નિયોજન અનુસાર પહેલા તબક્કામાં ગાયમુખ-કાસારવડવલી-કેડબરી જંકશન એમ 10 સ્ટેશનનો સમાવેશ હતો. હવે આ રૂટ શરૂ થાય એવા ચિહ્ન છે. એના માટે 2026નું વર્ષ અડધુ પૂરું થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. મેટ્રો-9ને સુરક્ષા પ્રમાણપત્ર :દહિસર-ભાઈંદર મેટ્રો-9 રૂટના દહિસરથી કાશીગાવ તબક્કાના સુરક્ષા તપાસની શરૂઆત મેટ્રો કમિશનર, મેટ્રો રેલવે સુરક્ષા, દિલ્હીએ કરી છે. સુરક્ષા પ્રમાણપત્ર મેળવીને મેટ્રો સંચાલનનો માર્ગ ખુલ્લો કરવાની આ છેલ્લી અને મહત્વની પ્રક્રિયા શરૂ થવાથી ટૂંક સમયમાં આ તબક્કાને સુરક્ષા પ્રમાણપત્ર મળશે. એ પછી આ તબક્કો પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે. અત્યારે મહાપાલિકાની ચૂંટણીના લીધે આચારસંહિત લાગુ થયેલી છે. આચારસંહિતા પૂરી થયા પછી જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં દહિસરથી કાશીગાવ મેટ્રો દોડે એવી શક્યતા છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ દરમિયાન વેરા વસૂલાતનો આંક વધારીને રૂ.459 કરોડ કરવામાં આવ્યો છે અને આ લક્ષ્યાંક હાંસલ કરવા બાકીદારોની મિલકત સીલિંગ સહિતની ઝુંબેશ શરૂ કરી દેવાઇ છે ત્યારે બીજીબાજુ મનમાની કરતી મોબાઇલ કંપનીઓ દ્વારા શહેરમાં આડેધડ ખડકાતા મોબાઇલ ટાવરનો રૂ.50 કરોડથી વધુનો વેરો હજુ સુધી ભરપાઇ કરવામાં ન આવ્યાની વિગતો પ્રકાશમાં આવી છે. સામાન્ય બાકીદારોની મિલકત સીલ કરતી મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ મોબાઇલ ટાવરની કંપનીઓ પાસે બાકી લેણાની ઉઘરાણી માટે સીલની કાર્યવાહી કરવાના બદલે ઘૂંટણિયે પડી ગઇ હોય તેમ કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા અનેક સવાલો ઉઠયા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2018થી કાર્પેટ આધારિત મિલકત વેરા લેવાની શરૂઆત કરવામાં ત્યારથી મોબાઇલ કંપનીના વેરાનો ભારાંક વધારીને રૂ.50 કરવામાં આવ્યો હતો. તેની સામે મોબાઇલ કંપનીઓઓ રાજ્ય સરકારમાં સતત રજૂઆતો કરી હતી, પરંતુ સરકારે તેમની માગણી નહીં સ્વીકારતા અંતે ન્યાયાલયનો આશરો લીધો હતો અને અમદાવાદ, સુરત અને વડોદરા જેવી મહાનગરપાલિકા કરતા રાજકોટ મહાનગરપાલિકાનો ભારાંક વધારે હોવાનું જણાવી તેમાં ઘટાડો કરવાની માગણી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનગરપાલિકાએ મોબાઇલ ટાવર કંપનીઓનો ભારાંક રૂ.50 પરથી ઘટાડીને રૂ.15 કરવામાં આવ્યો હતો. આમ છતાં અનેક મોબાઇલ કંપનીઓએ ભારાંક ઘટાડવાની માગણી ચાલુ રાખી મોબાઇલ ટાવરનો વેરો ભરવાનું બંધ કરી દેતા બીએસએનએલ, જિઓ, સહિતની કંપનીઓનો રૂ.50 કરોડથી વધુનો વેરો મનપાના ચોપડે બાકી બોલી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેરા વસૂલાતની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરી દેવાયા બાદ મોબાઇલ ટાવરના વેરા વસૂલાતની કામગીરી ઇસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશન અને મેનેજરોને સોંપવામાં આવી છે, પરંતુ આ અધિકારીઓને મોબાઇલ કંપની પ્રત્યે સોફ્ટ કોર્નર હોય તે રીતે તેની માહિતી છુપાવવા ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે અને કેટલો વેરો બાકી છે તે બાબતે પૂછતા એકબીજાને ખો આપી રહ્યા છે. આ અધિકારીઓ શા માટે મોબાઇલ ટાવર સીલ કરવાની કાર્યવાહી કરતા નથી તે બાબતે પણ મૌન સેવી લેતા ઇસ્ટ ઝોનના મેનેજર ગૌરવ ઠક્કર, આસિસ્ટન્ટ મેનેજર એચ.પી.રૂપારેલિયા સહિતના અધિકારીઓનો રોલ પણ શંકાના દાયરામાં આવી ગયો છે અને કોઇ અગમ્ય કારણોસર તેઓ મનપાનો બાકી વેરો વસૂલવા પ્રયાસ કરતા ન હોવાની છાપ ઊભી થઇ છે. ભીતરમાંથી જાણવા મળ્યા મુજબ બીએસએનએલ કંપનીનો રૂ.14 કરોડથી વધુનો વેરો બાકી છે અને તેનાથી પણ વધુ રિલાયન્સ જિઓ કંપનીના મોબાઇલ ટાવરનો વેરો બાકી છે ત્યારે શા માટે તેમની સામે કાર્યવાહી કરાતી નથી તે મોટો સવાલ છે. આ બાબતની માહિતી મેનેજર આપશે: આસિસ્ટન્ટ મેનેજરે હાથ ખંખેર્યામહાનગરપાલિકાની સેક્રેટરી બ્રાન્ચમાંથી માહિતી લીક કરવાની શંકાએ હાંકી કઢાયેલા સેક્રેટરી ડો.એચ.પી. રૂપારેલિયા હાલમાં ઇસ્ટ ઝોનના આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે અને તેને આ બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, તેમને મોબાઇલ કંપનીઓનો વેરો બાકી છે તેની સંપૂર્ણ ખબર છે, પરંતુ માહિતી તો કાલે મેનેજર જ આપશે. ત્યારે શા માટે તેઓ માહિતી આપવાથી કતરાઇ રહ્યા છે અને કોને બચાવી રહ્યા છે તપાસનો વિષય છે.
પારકી જમીન પચાવી પાડવાની માનસિકતા સાથે રાજકોટ શહેર-જિલ્લામાં જમીન કૌભાંડી તત્ત્વો દ્વારા અનેક કૌભાંડો આચરવામાં આવ્યા છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા આવા જ એક જમીન કૌભાંડમાં તત્કાલીન પ્રાંત અધિકારી સામે શંકાની સોય તાણતો ચુકાદો આપ્યો છે. 46 વર્ષથી સરકારી નામે ચાલતી કરોડોની કિંમતી વેજાગામની એક એકરથી વધુ જમીન વર્ષ 2016માં રાજકોટ સિટી પ્રાંત-2 દ્વારા એક જ ઝાટકે ખાનગી ઠેરવી નાખ્યા બાદ ચટ મંગની પટ વિવાહ ઉક્તિ મુજબ ઉપરાછાપરી બબ્બે વેચાણ દસ્તાવેજ પણ કરી નાખવામાં આવ્યા હતા. જોકે બિનખેતી પોટેનશિયલ વાળી આ જમીન ખાનગી ઠેરવી દેવાના હુકમને જિલ્લા કલેક્ટરે રિવિઝનમાં લઈ તત્કાલીન પ્રાંત અધિકારીનો હુકમ રદ કરી દેતા જમીન કૌભાંડિયા તત્ત્વોની મેલી મુરાદ બર નથી આવી ઊલટું સરકારી જમીન ખાનગી ઠેરવવા કરેલો ખર્ચ પણ પાણીમાં ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ નજીક આવેલ વેજાગામ રેવન્યુ સરવે નંબર-57 પૈકી 4ની 1એકર 5 ગુંઠા જમીન વર્ષ 1968માં પ્રમોલગેશનથી સરકારના નામે ચાલતી હોય વર્ષ 1969માં નોંધ નંબર 205 રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. બાદમાં અચાનક જ વર્ષ 2016માં તત્કાલીન રાજકોટ સિટી પ્રાંત-2 અધિકારી દ્વારા પરચૂરણ અપીલ કેસ ચલાવી અરજદાર સોમાભાઈ મેરૂભાઇ માલકિયાની નોંધ પાડવા હુકમ કરી દીધો હતો. હકીકતમાં આવા કેસમાં પ્રથમ વિલંબ માફીની અરજી બાદ નિર્ણય લેવાતો હોય છે અને સરકાર અને ખાનગી માલિક વચ્ચેના જમીન વિવાદને જમીન મહેસૂલ કાયદાની કલમ 37/2 અન્વયે ચલાવવાને બદલે સીધી જ પરચૂરણ અપીલમાં સરકાર હેડે ચાલતી કરોડોની કિંમતી જમીન ખાનગી નામે ચડાવી દેવામાં આવી હતી. જેથી જિલ્લા કલેક્ટર દ્વારા સત્તા બહાર જઈ પ્રાંત અધિકારીએ કરેલ ગેરકાયદેસર હુકમને રિવિઝનમાં લઈ સરકારના હિતને નુકસાન કરતા હુકમને રદ કરવા હુકમ કરી બોજા રહિત સરકાર દાખલ કરવા હુકમ કર્યો હતો. નોંધનીય છે કે, 46 વર્ષ બાદ ખાનગી નામે જમીન ચડતા જ આ જમીનના ઉપરાછાપરી બે વેચાણ દસ્તાવેજ પણ થઇ ગયા હોય જમીન ખરીદનારાઓને પણ ભોગવવાનો વારો આવ્યો છે. ત્રંબામાં કસ્તુરબા આશ્રમને ફાળવેલી જમીન ખાલસા રાખવાનો હુકમ યથાવત્ રાખતા જિલ્લા કલેક્ટરરાજકોટ તાલુકાના ત્રંબા ગામે કસ્તુરબા આશ્રમ ટ્રસ્ટને ખેતીનું શિક્ષણ અને છાત્રાલય માટે રેવન્યુ સરવે નંબર 277ની 35 એકર જમીન વર્ષ 1972માં ભાડાપટ્ટે ફાળવવામાં આવી હતી. જોકે વર્ષો સુધી કસ્તુરબા આશ્રમને ફાળવવામાં આવેલ જમીન પર મૂળ હેતુ મુજબ ખેતીનું શિક્ષણ આપવાનું કે, છાત્રાલય બાંધકામનું કામ ન થતા વર્ષ 2006-07માં શરતભંગ કેસ ચલાવી નાયબ કલેક્ટર દ્વારા શરતભંગ સાબિત માની છાત્રાલય માટે ફાળવેલી 20 એકર જમીન તેમજ ખેતીના શિક્ષણ માટે આપેલી 15 એકર જમીન સરકાર હસ્તક લેવા હુકમ કર્યો હતો. જેની સામે ટ્રસ્ટના વર્તમાન પ્રમુખે 17 વર્ષ બાદ વિલંબ માફ કરવાની અરજી કરતા વિલંબ માફીના કારણો વાજબી ન લાગતા જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે વિલંબ માફીની અરજી રિજેક્ટ કરી નાખી હતી.
ઇજા કે વધતી વયને લીધે જ્યારે ઘણીવાર ખભા, ઘૂટણ અને ઘૂંટીના હાડકામાંથી સ્નાયુ છૂટા પડી જાય કે ફાટી જતા હોય છે, ત્યારે વ્યક્તિને એ અંગ હલાવતાં અસહ્ય દુઃખાવો થતો હોય છે. આ ફાટેલા કે જુદા પડેલા સ્નાયુઓનું હાડકાં સાથે ફરી જોડાણ કરવાની ચીરફાડ વિનાની પહેલી સફળ સર્જરી શહેરની ખાનગી હોસ્પિટલમાં કરાઈ હતી. લેટેસ્ટ જર્મન ટેક્નોલોજી પર આધારિત આ સર્જરી આગામી સમયમાં એસએસજીમાં પણ થાય તેવી શક્યતા છે. આ સર્જરીમાં જે અંગના સ્નાયુ ફાટ્યા હોય ત્યાં એક અતિશય નાનું છીદ્ર પાડીને દૂરબીન મોકલાય છે, જે સ્નાયુનું પરીક્ષણ કરે છે. ત્યારબાદ જરૂરિયાત મુજબ 6થી 16 ચો. સેમીના માપનો એલોગ્રાફ્ટ મૂકાય છે. આ સર્જરી સ્પંદન હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક સર્જન ડૉ. ધ્રુવ શાહના નેતૃત્વમાં શહેરમાં પ્રથમ ડર્મલ એલોગ્રાફ્ટ ટેક્નિક સાથે કરાઈ હતી, જેમાં દર્દીને 3 જ ટાંકા લેવાયા હતા. એલોગ્રાફ્ટ જર્મન ટેક્નોલોજીથી બને છે. જેમાં બ્રેઇન ડેડ વ્યક્તિ જેમણે અંગદાન કર્યું હોય તેની ત્વચામાંથી તૈયાર કરાય છે. તેમાં સ્નાયુના રિપેરિંગ માટેના વિશેષ પ્રોટીન, કોલાજન અને ગ્રોથ ફેક્ટર્સ ઉમેરાય છે. આ જ કારણસર એક એલોગ્રાફની કિંમત 3થી 4 લાખ હોય છે. ડર્મલ એલોગ્રાફ્ટ સપોર્ટ પેચ જેવું કામ કરે છેડર્મલ એલોગ્રાફ્ટ ખભાના ફાટેલા સ્નાયુ માટે સપોર્ટ પેચ જેવું કામ કરે છે, જે મજબૂતી આપી ઝડપથી રૂઝ લાવે છે. 62 વર્ષીય વૃદ્ધાને 6 મહિનાથી ડાબા ખભે દુ:ખાવો થતો હતો, તેઓને હાથ ઉપર લઈ જવામાં તકલીફ પડતી હતી. હવે રિકવરી 4થી 6 મહિનામાં આવી જશે. > ડો. ધ્રુવ શાહ, ઓર્થોપેડિક સર્જન
આપઘાતનો મામલો આવ્યો સામે:પોતાના જ કારખાનામાં ફાંસો ખાઈ માલિકે આપઘાત કર્યો
શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કારખાનું ધરાવતાં 31 વર્ષીય યુવકે પોતાના કારખાનામાં ઉપરના માળે આવેલા ગોડાઉનમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. બેભાન હાલતમાં યુવકને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં ઇમર્જન્સી વિભાગના તબીબે મૃત જાહેર કર્યો હતો. ત્યારે દોઢ વર્ષના માસૂમ બાળકે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના મોટામવા પાસે આવેલ અલ્ટોસા લિવરી એરપોર્ટમેન્ટ રહેતા મીત પ્રફુલભાઈ ખાનપરા(ઉં.વ.31)નામના યુવકે રવિવારે સવારે વાવડી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલા પોતાના ઉમિયાજી પંપ નામના કારખાનાના ગોડાઉનમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટના અંગે જાણ અહીં કામ કરતાં મજૂરોને થતાં દેકારો કરી મૂકતા આસપાસના પાડોશી કારખાનેદારોએ દોડી જઈ તુરંત જ બેભાન હાલતમાં મીતને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં અહીં તબીબે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હાય. ઘટના અંગે જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં, મૃતક એક ભાઈ એક બહેનમાં નાનો હતો. તેને સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર છે. પીએમ રૂમ હાજર મૃતકના સ્વજનોએ જણાવ્યા મુજબ, મીત સવારે પોતાના નિયત સમય કરતાં વહેલો કારખાને આવ્યો હતો અને અચાનક જ અહીં કામ કરતા શ્રમિક પાસે ઉપર ગોડાઉનની ચાવી માગી હમણા માલ આવે છે તેવું કહ્યું હતું. ગોડાઉનમાં ઘણો સમય વિત્યો હોવા છતાં મીત નીચે ન આવતા શ્રમિક જોવા જતાં લટકતો જોવા મળ્યો હતો. બનાવને લઈને તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા ચૂંટણી પ્રક્રિયાનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ચૂંટણીની તારીખો અને કાર્યક્રમને લઈ કેટલાક આક્ષેપો થયા હતા. હરિફ જૂથના ડૉ.દર્શન બેંકર ઉમેદવારી ન કરી શકે તે માટે તેમના પુત્રના લગ્નના બે દિવસ દરમિયાન જ ઉમેદવારી પત્રક ભરવાની તારીખ રખાઈ હોવાના આરોપ લાગ્યા હતા. બે જાન્યુઆરીએ એપેક્સ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. જેમાં બીસીએની ચૂંટણી 15 ફેબ્રુઆરીએ યોજવાની જાહેરાત કરાઈ હતી. ઉમેદવારી પત્રક 12 અને 13 જાન્યુઆરીએ ઉપલબ્ધ રહેશે. 19-20 જાન્યુઆરીએ શપથપત્ર સાથે ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા રખાશે. 21 જાન્યુઆરીએ ઉમેદવારી પત્રકોની ચકાસણી કરવામાં આવશે અને 23 જાન્યુઆરીએ અંતિમ ઉમેદવારોની યાદી જાહેર થશે તેમ જાણવા મળ્યું હતું. હરિફ જૂથે અમને ચૂંટણીથી દૂર રાખવાનો આ પ્રયાસ છે, તેવા આક્ષેપ કર્યા હતા. ત્યારે આ મામલે પ્રણવ અમીન અને સમરજીતસિંહ ગાયકવાડના ગ્રૂપે આક્ષેપ નકાર્યા હતા. તેમને કહ્યું હતું કે, અમને ડૉ.દર્શન બેંકરના પુત્રના લગ્નની તારીખની જાણ નથી. અગાઉ પણ ચૂંટણી પારદર્શી થઈ હતી, આ ચૂંટણી પણ પારદર્શી જ કરાવાશે.
ફરિયાદ નોંધાઈ:કૌટુંબિક કાકાની ટ્રેડર્સના વેપારીને ધમકી, છરી બતાવી ગાળો ભાંડી
શહેરના રેસકોર્સ રિંગ રોડ આઈસક્રીમ પાછળ શ્રીરામ પાર્ક શેરી નં.2માં રહેતા દિનેશભાઈ મનસુખભાઈ દુધાત્રા નામના ટ્રેડર્સના વેપારીએ બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પુરુષોત્તમભાઈ ગોવિંદભાઈ દુધાત્રાનું નામ આપ્યું હતું. દિનેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેનો મોરબી રોડ જકાતનાકા પાસે ગાયત્રી સ્ટીલ એન્ડ પ્લાય નામનો ટ્રેડર્સનો વેપાર છે. કૌટુંબિક કાકા પુરુષોત્તમભાઈ ગોવિંદભાઈ દુધાત્રા જકાતનાકા પાસે ખોડિયાર માતાજીના મંદિર ખાતે એકલા રહે છે. તા.01/01/2026ના રોજ પુરુષોત્તમભાઈ તેની ટ્રેડર્સની ઓફિસ બહારથી પસાર થયા ત્યારે પોતે અન્ય વેપારીઓ સાથે ત્યાં ઊભા હોય તે સમયે પુરુષોત્તમભાઈએ આવીને કહ્યું કે, તારા પિતાજીને સમજાવી દેજે, મારા એકેય કામમાં આડા ન આવે. જે બાબતે સમજાવવા જતા તેમણે છરી બતાવી ગાળો ભાંડી હતી. આ મામલે પોલીસે વેપારીની ફરિયાદ નોંધી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં ટ્રાફિક નિયમન કરવામાં અસમર્થ વડોદરા પોલીસ હવે શહેરીજનો સાથે રીઢા આરોપી જેવો વ્યવહાર કરતી થઈ ગઈ છે. શનિવારે અકોટા-દાંડિયા બજાર બ્રિજ ચાર રસ્તા પર નંબર પ્લેટ વિનાની બુલેટ અને તેમાં લાગેલા મોડિફાઈડ સાયલન્સરને લઈને બાજવાના યુવક કૌશલસિંહ જાટ વિરુદ્ધ રાવપુરા પોલીસમાં ગુનો પણ દાખલ કરાવ્યો છે. યુવકે આક્ષેપ કર્યો હતો કે તેને ટ્રાફિક એસીપી ડી.એમ.વ્યાસે માર માર્યો હતો. રાવપુરા પોલીસ મથકમાં પશ્ચિમ ટ્રાફિક વિભાગના પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ જોગદીયા દ્વારા કૌશલસિંહ જાટ વિરુદ્ધ ગુનો દાખલ કરાવતા જણાવ્યું હતું કે, બુલેટ ચાલક સવારે 10:35 વાગે ચાર રસ્તા પર સિગ્નલ પાસે ઉભો રહી મોબાઈલ પર વાત કરતો હતો. બુલેટની આગળ-પાછળ કોઈ નંબર પ્લેટ ન હતી. મોડિફાઈડ સાઈલેન્સર લગાવ્યું હતું. વાહનચાલકને સાઈડમાં લઈ જતા તેને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. રાવપુરા પોલીસ દ્વારા સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આપ્યાં છે. જેમાં બુલેટ ચાલકને ત્રણથી ચાર પોલીસકર્મીએ જાહેર રોડ પર ખેંચીને પોલીસવાનમાં ધકેલ્યા બાદ માર માર્યો હતો. પોલીસની દાદાગીરી સીસીટીવી ફૂટેજમાં સ્ષષ્ટ દેખાઈ આવતી હતી. રાવપુરા પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા
રાજકોટના જંગલેશ્વર કીર્તિધામ સોસાયટીમાં રહેતા સતારભાઇ ખમીશાભાઈ પતાણી(ઉ.વ.50) એ ભક્તિનગર પોલીસ મથકમાં આરોપી તરીકે કુલસુમબેન મેમણ, હનિફ અને યુવરાજ ડાંગર સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ રિક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરે છે. આશરે ચાર વર્ષ પહેલાં ભવાની ચોક નજીક પાનની દુકાને જતી વખતે તેમનો પરિચય કુલસુમબેન મેમણ સાથે થયો હતો. બે વર્ષ પહેલાં રિક્ષાના એન્જિન રિપેરિંગ માટે પૈસાની જરૂર પડતા તેમણે કુલસુમબેન પાસેથી કટકે-કટકે કુલ રૂ.3.10 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા. તેઓને દર મહિને 30,000 વ્યાજ પેટે ચૂકવતો હતો. છેલ્લા બે વર્ષથી નિયમિત વ્યાજ ભર્યા બાદ છેલ્લા ત્રણ મહિનાથી આર્થિક તંગીને કારણે તેઓને વ્યાજ ભરી શકાયું નહોતો. ફરિયાદીએ દેવપરામાં રહેતા હનિફ નામના શખ્સ પાસેથી 20,000ની ડાયરી કરાવી હતી. જેમાં વ્યાજ કાપીને રકમ આપવામાં આવી હતી. જે રકમનું દોઢ વર્ષમાં અંદાજે દોઢ લાખ રૂપિયા વ્યાજે ચૂકવ્યું હતું. સતારભાઇએ આવી જ રીતે યુવરાજ ડાંગર નામના શખ્સ પાસેથી 30,000ની ત્રણ ડાયરી કરાવી હતી. મહિલા સહિત ત્રણેય વ્યાજખોરો ફરિયાદીના ઘરે જઈ વારંવાર ઉઘરાણી કરતાં હોય જેથી કંટાળીને સતારભાઈએ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
27 ડિસેમ્બરથી શરૂ થયેલી રાષ્ટ્રકથા શિબિરનું સમાપન થયું હતું. અંતિમ દિવસે DRDOના ઉપેન્દ્રસિંહે કહ્યું હતું કે, ભારતને અતિ આધુનિક શસ્ત્રોથી સુરક્ષિત કરવા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા 41 લેબોરેટરી અને 5 ડીઆરડીઓ યંગ સંસ્થાઓ દ્વારા થતી કામગીરીની માહિતી આપીને શસ્ત્રો ઉત્પાદન ક્ષેત્રે ભારતે આત્મનિર્ભર જ નહીં નિકાસકર્તા દેશ તરીકે સિદ્ધિ મળી છે. રાજકોટના વતની અને રાજદૂત તરીકે વિવિધ દેશોમાં સેવા આપી હાલમાં મનોહર પારિકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ એનાલિસના ડાયરેક્ટર જનરલ પદે સેવા આપી રહેલ સુજોય ચિનોય એ શિબિરાર્થીઓને સંબોધતા જણાવેલ કે, વૈશ્વિક સ્તરે સામાજિક- આર્થિક પરિસ્થિતિના બદલાવના લીધે અગાઉની માત્ર અમેરિકા અને રશિયા એમ બે ધ્રુવીયના સ્થાને બહુધ્રુવીય વ્યવસ્થા નિર્માણ થવા પામી છે. આવા સંજોગોમાં પરસ્પર હિત ટકરાતા હોય એવા બંને દેશો જેમકે, અમેરિકા-રશિયા, ઇરાન-સાઉદી અરેબિયા, ઇઝરાયેલ- પેલેસ્ટાઇન એમ બંને દેશ સાથે કૂટનીતિક સંબંધો જાળવવામાં ભારત સફળ રહ્યું છે. ટ્રમ્પના ટેરિફ ટેરરથી વિશ્વના દેશો વિચલિત થયા, પરંતુ ભારત ઉપર તેની અસર નહિવત રહી. બેંગ્લોરથી પધારેલા જે.એન.પ્લેનેટોરિયમના વૈજ્ઞાનિક ડૉ.બી.આર. ગુરુપ્રસાદે ભારતે ઇસરોની સ્થાપના પછી અંતરીક્ષ વિજ્ઞાન ક્ષેત્રે હાંસલ કરેલ સિદ્ધિઓની અલભ્ય ડોક્યુમેન્ટરી વિશાળ સ્ક્રીન ઉપર દર્શાવી હતી. જેમાં ચંદ્રની ધરતી ઉપર મિનરલ્સ-પાણીની શોધ માટે ચંદ્રયાન-1,2,3 તેમજ સૂર્ય ગ્રહના સંશોધન માટે આદિત્ય એલ-1, મંગળ ગ્રહ ઉપર પાણીના સ્રોત અને માનવ વસાહતના સંશોધન માટે ગ્રહથી માંડીને ઈસરો અને નાસાના સંયુક્ત સાહસ એવા નિસાર ઉપગ્રહને અંતરીક્ષમાં મૂકવો, કેવી રીતે એકસાથે 104 ઉપગ્રહ તેમજ બાહુબલી 6500 કિગ્રાનો કદાવર સેટેલાઈટનું પ્રક્ષેપણ કર્યુ વિગેરેથી શિબીરાર્થીઓને અભિભૂત કર્યા હતા. રાષ્ટ્રકથા શિબિરમાં 1310 સૈનિકનું શિબિર દરમિયાન ક્રમશઃ હસ્તે શાલ અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ રાજ્યમાં 17,303 શિબિરાર્થીઓ સાથે આવેલ શિક્ષકો, વિનામૂલ્યે રાતદિવસ સેવા આપનાર મળીને 1200થી અધિક સહયોગીઓનું પણ સન્માન કરાયું
હાર્ટ એટેક:ચાલુ બાઇકે પ્રૌઢ ઢળી પડ્યા, 108ના સ્ટાફે 6 મિનિટ સીપીઆર આપ્યો છતાં જીવ ન બચ્યો
વાડી વિસ્તારમાં રહેતા પૌઢ રવિવારે બપોરે વાડી ટાવર પાસેથી બાઈક પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક ચાલુ બાઈક પરથી ઢળી પડ્યા હતા. જેથી તેઓને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબ તેઓને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, પૌઢને હાર્ટ એટેક આવ્યો હશે. હાલમાં વાડી પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે. હાલમાં હાર્ટએટેકના કિસ્સાઓ રાજ્યમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તાજેતરમાંં જ વડોદરાના એક મહિલા તબીબનું પણ હાર્ટ એટેકના કારણે મોત થયું હતું, જેમની વય 40 વર્ષ હતી. ત્યારે હાલમાં એક બાઈક ચાલકને ચાલુ બાઈકે હાર્ટ એટેક આવી ગયો હતો. વાડી વિસ્તારમાં આવેલી વચલી પોળમાં રહેતા 55 વર્ષીય સુજીતભાઈ મારકન્ડે રવિવારે તેમની દીકરી માટે કોઈ વસ્તુ લેવા માટે વાડી ટાવર પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે વાડી ટાવર પાસે તેઓ ચાલું બાઈકે તે ઢળી પડ્યા હતા. જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી હતી. 108ની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને 6 મિનિટ સુધી સીપીઆર આપ્યો હતો. કોઈ પ્રતિસાદ ન મળતા 108 તેઓને લઈને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં લઈને પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબ તેઓને મૃત જાહેર કર્યા હતા. હાર્ટ એટેકના કિસ્સામાં ફુડ અને હવાના પ્રદૂષણ સાથે ઘણા પાસા જવાબદાર છે હાલમાં જે રીતે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે, સાથે ખાવાની સામગ્રીમાં પણ પ્રદૂષણ વધી રહ્યું છે. જેના કારણે આ પ્રકારની તકલીફ વધી રહી છે. આ સાથે હાલમાં જે રીતે નાની વયના બાળકો અને જુવાન લોકોમાં જે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે, તે ચિંતાનો વિષય છે અને તે તપાસની બાબત છે. આવા કિસ્સાઓમાં ઘણા પાસાઓ કામ કરે છે. આવા કિસ્સાઓમાં તે પાસુ પણ કામ કરે છે કે, તમારી પેઢીમાં કોઈને આ પ્રકારની તકલીફ છે કે કેમ..? આજકાલ લોકો પેકેટ ફૂડ તરફ વધી રહ્યા છે. જે નુકસાનકારક છે. પહેલા શ્રમજીવીઓ બાજરીના રોટલા જમતા હતા પણ હવે તે પણ પેકેટ ફૂડનું જમે છે. લોકોએ પોતાનું જમણ સુધારવું જોઈએ. સાથે સ્વાસ્થવર્ધી આદતો અપનાવવી જોઈએ, નિયમિત કસરત કરવી જોઈએ. જો તમારી પેઢીમાં કોઈને હૃદયની તકલીફ હોય તો નિયમિત રીતે હૃદયની તપાસ કરાવવી જોઈએ.
તૈયારીની સમીક્ષા કરશે હર્ષ સંઘવી:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટમાં
આગામી તા.11 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનો પ્રારંભ થનાર હોય રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટની મુલાકાતે છે . તેઓ રાજકોટ ખાતે વાઇબ્રન્ટ કોન્ફરન્સની તૈયારીની સમીક્ષા કરવાની સાથે સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન સાથે પણ બેઠક યોજશે. કચ્છ-સૌરાષ્ટ્રના ઉદ્યોગ સાહસિકો માટે પ્રગતિ અને તકોના નવા દ્વાર ખોલનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સની તડામાર તૈયારી વચ્ચે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે છે. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે તેઓ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન સાથે બેઠક યોજશે તેમજ કોન્ફરન્સની તૈયારીની પણ સમીક્ષા કરશે. આ તકે, ઇન્ડેક્સ- બીના મેનેજિંગ ડિરેક્ટર કે.સી. સંપટ સહિતના અધિકારીઓ પણ હાજર રહેશે.
શહેરના ન્યાયમંદિર વિસ્તારમાં આઝાદી બાદ વિકસેલા લહેરીપુરા ન્યૂ રોડને છેલ્લા દોઢ દાયકાથી પાર્કિંગ અને ટ્રાફિક જામ સહિતની સમસ્યા આભડી ગઇ છે. હાર્ડવેર, ઇલેક્ટ્રિકલ, પાઇપ્સના જૂના હબ તરીકેની ઓળખ ધરાવતા આ રસ્તા પર 200 જેટલી દુકાનોના દુકાનદારો અને ગ્રાહકોને પળોજણ પજવે છે. ટુ વ્હીલર પાર્કિંગ કરે તો નિયમભંગ અને ટોઇંગનો ભય સતાવે, જ્યારે ફોર વ્હીલર ગ્રાહક તરીકે આ રસ્તા પર પાર્ક કરી શકો તો ગત જન્મારાના કોઇ પુણ્ય કર્મોના ફળ હશે, કંઇક એવું લોકો માને છે. ન્યૂ રોડ, મંગળબજારના વેપારીઓ સાથે વાત કરી તો જાણવા મળ્યું કે, આ બે સમસ્યાઓની સાથે ત્રીજી શૌચાલયની છે. આ રસ્તાની 200 જેટલી દુકાનો વચ્ચે એક પણ શૌચાલય નથી. દુકાનદારો કહે છે કે, અમે ચાલીને મંગળબજારની ખખડધજ મુતરડીએ જઇએ છીએ. સૌથી મોટી વિચિત્રતા એ છે કે, એક બાજુ વોર્ડ-13, બીજી તરફ 14, દુકાનદારો આ વિસ્તારના રહીશો નથી એટલે વોર્ડ ઓફિસો દુકાનદારોને ખો-ખો રમાડે છે. આ હેરિટેજ અને આર્થિક મહત્ત્વ ધરાવતા વિસ્તારના લોકો, વેપારીઓ તથા ગ્રાહકોની સમસ્યાના રિપેરિંગ પ્રોજેક્ટને આ વિસ્તારના વિકાસપ્રેમી નેતાજીઓ અવગણે છે. છેલ્લાં 8 વર્ષથી અવાવરુ પડેલી પોલીસ કેબિનનું દબાણ હટશે?લહેરીપુરા ન્યૂ રોડ પર લોકોને વાહન પાર્ક કરવા હવાતિયાં મારવાં પડે છે. જ્યારે પોલીસ વિભાગની મસમોટી કેબિન અહીં 8 વર્ષથી અવાવરુ પડી છે. આસપાસના લોકોના જણાવ્યા મુજબ અહીં 2017-18માં છેલ્લે તેનો ઉપયોગ થયો હતો, પછી ક્યારેય પોલીસ કર્મી જોવા મળ્યા નથી. હાલ પૂરતું તો એ જ આશા કે કોઇ ઉચ્ચ અધિકારીની પ્રજાકીય સગવડની સાચી ભાવના જાગે અને 20 ફૂટ લાંબી આ કેબીન હટે તો વિસ્તારની સમસ્યાના ઉકેલમાં પોલીસનું પ્રદાન પણ આ વિસ્તાર લાંબા સમય સુધી યાદ રાખશે. વાહન વ્યવહારના સંચાલન માટે એકેય ટ્રાફિક પોલીસ મૂકાતો નથી પાલિકાની વોર્ડ નં.14ની જૂની કચેરીની ઇમારત લહેરીપુરા ચોકી પાસે છે, જે લાંબા સમયથી બિનવપરાશી છે. નવી વોર્ડ ઇમારત બની ગઇ છે. હવે આ બિલ્ડિંગ ઉતારીને ત્યાં જાહેર હિતની સુવિધાઓ ઊભી કરવી જોઇએ. > પરેશ પરીખ, વેપાર વિકાસ એસોસિયેશન ન્યૂ રોડ જ નહીં, પણ મંગળબજારના વેપારીઓ પણ મૂતરડીની સુવિધા ઝંખે છે. અહીં 400 જેટલી દુકાનો છે અને 350થી વધુ પથારાવાળાઓ છે. રોજના 7થી 10 હજાર ગ્રાહકો આવે છે, પણ એક જ જાહેર મુતરડીની સુવિધા છે. > જય ઠાકોર, પ્રમુખ, મંગળબજાર એસોસિયેશન ન્યૂ રોડ પર જમણી તરફનો પટ્ટો વોર્ડ નં.13માં છે, જ્યારે ડાબી તરફનો વોર્ડ નં.14માં છે. જ્યારે પણ રોડનો વિકાસ થાય ત્યારે એક જ તરફનો થાય છે. વેપારીઓને વોર્ડ ઓફિસમાં જઇને દર વખતે રજૂઆત કરવી પડે છે. > રાજેશ પટેલ, પ્રમુખ, ન્યૂ રોડ વેપારી એસોસિયેશન ન્યૂ રોડના ફૂટપાથનું છેલ્લાં 40 વર્ષથી રિપેરિંગ થયું નથી. ફૂટપાથ પર ગ્રાહકો ચાલે છે, પણ ઘણીવાર પડી જાય છે. આ વિસ્તારમાં ટ્રાફિક જામ થાય છે અને પાર્કિંગ પણ થતું નથી. ચોમાસામાં વરસાદી પાણી ભરાય છે.> સાગર પંડ્યા, સ્થાનિક વેપારી ન્યૂ રોડ વિસ્તારમાં હજારો લોકોની અવર-જવર છે, બેંકો છે, જ્યાં પણ સેંકડો લોકો આવે છે. જોકે ટ્રાફિક સંચાલન માટે એકેય ટ્રાફિક પોલીસને તૈનાત રાખવામાં આવતો નથી. જેથી આ સમસ્યાને રામ ભરોસે છોડી દેવાય છે. > જિજ્ઞેશ પરીખ, સ્થાનિક વેપારી
વેધર રિપોર્ટ:9.5 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું બીજું ‘કોલ્ડ સિટી’, હજુ પણ પારો ગગડશે
નવા વર્ષની શરૂઆત સાથે જ સમગ્ર ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. કમોસમી વરસાદના વિદાય બાદ હવે ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર ગુજરાતના જનજીવન પર જોવા મળી રહી છે. રવિવારે રાજ્યમાં 8 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુંગાર શહેર રહ્યું હતું, જ્યારે રાજકોટ 9.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું બીજા નંબરનું સૌથી ઠંડું શહેર નોંધાયું છે. હવામાન વિભાગના વિશ્લેષણ મુજબ, હાલમાં પવનની દિશા ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફની છે. ઉત્તર તરફથી આવતા બર્ફીલા પવનોને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે લઘુતમ પારો નીચે ઉતરી રહ્યો છે, જેનાથી વહેલી સવારે અને મોડી રાત્રે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે. રાજકોટમાં ઠંડીનું જોર એટલું વધ્યું છે કે રાત્રિના સમયે માર્ગો સૂમસામ ભાસી રહ્યા છે અને લોકો ઠંડીથી બચવા તાપણા તેમજ ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે. હવામાન વિભાગના મતે 9 જાન્યુઆરી બાદ તાપમાનમાં ધીમે-ધીમે વધારો થવાથી ઠંડીનું જોર ઘટી શકે છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, હજુ ઠંડીમાંથી મુક્તિ મળવાની આશા નથી. આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં હજુ પણ 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. જો પારો વધુ ગગડશે તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ઠંડીનો નવો રેકોર્ડ સર્જાઈ શકે છે. જોકે રાહતની વાત એ છે કે, આગામી 9 જાન્યુઆરી સુધી રાજ્યમાં ક્યાંય પણ વરસાદની શક્યતા નથી અને વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે.
વેદજ્ઞાન:150 બાળકોએ સલાકા પરીક્ષા આપી, યજુર્વેદ માધ્યંદિની શાખાના 430 મંત્રો કંઠસ્થ રજૂ કર્યા
શહેરના આજવા રોડ પંડિત દિન દયાલ ઓડિટોરિયમ ખાતે રવિવારે વૈશ્વિક જ્ઞાનગંગા સેવા ટ્રસ્ટ દ્વારા સંસ્કૃત ત્રિવેણી સંગમ યોજાયો હતો. જેમાં વિવિધ પાઠશાળાઓમાંથી યજુર્વેદના વિદ્યાર્થીઓ આવ્યા હતા.જેમની સલાકા પરીક્ષા લેવાઈ હતી. જ્યારે વ્યાકરણ અને જ્યોતિષ અંગેની પણ પરીક્ષા વિદ્વાન આચાર્યો દ્વારા લેવાઈ હતી. 150 જેટલા વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. જ્યારે સાંજે સંસ્કૃતમાં પોતાનું યોગદાન આપનાર મહાનુભાવોનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં સંતરામ મંદિર નડિયાદના મહંત રામદાસ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. સાથે કેબિનેટ મંત્રી રમણ સોલંકી, મંત્રી મનિષાબેન વકીલ, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. વ્યાકરણની પરીક્ષા લેનાર પેટલાદના ડો. રઘુ જોશીએ જણાવ્યું હતું કે, પાણીની સંસ્કૃત ભાષાના વ્યાકરણ અને 3996 સૂત્રક્રમમાં બાંધી દીધી છે પાણીનીય મુનિ દ્વારા સ્વરના 14 સૂત્રો અપાયા છે. જેનો ઉપયોગ થાય તો સંસ્કૃતિ ઉપજતી તમામ ભાષા સરળતાથી શીખી શકાય. બારાક્ષરીમાં પ્લુતનો સમાવેશ નથી પરંતુ તે પણ ખૂબ જ જરૂરી છે. માત્ર બ્રાહ્મણને વેદ હોય છે તેવું નથીયજુર્વેદના જ્ઞાતા વિદ્વાન બ્રાહ્મણોએ જણાવ્યા મુજબ ક્ષત્રિય, વૈશ્ય સમાજના લોકોને પણ ગોત્ર અને વેદ ભણવાનો અધિકાર છે. ગુજરાતમાં મોટાભાગે શુક્લ યજુર્વેદના બ્રાહ્મણો હોવાથી સામવેદના બ્રાહ્મણો મળતા નથી. વેદ શીખનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં 2006 બાદ વધારો નોંધાયોયજુર્વેદ શીખેલા બાળકોએ 1થી 10 અધ્યાયના શુક્લ યજુર્વેદ માધ્યંદિની શાખાના 430 મંત્રો કંઠસ્થ અવરોહ સાથે રજૂ કર્યા હતા. વેદ શીખનારને પણ સરકારી અને ખાનગી ક્ષેત્રે નોકરી મળે છે. ડિગ્રી માનવામાં આવે છે તેથી વેદ શીખનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ 2006 બાદ વધારો નોંધાયો છે. કથા પૂર્ણ ન થાય તો યજમાન-વક્તાને દોષ લાગેવેદના જાણકાર નિસર્ગ ઉપાધ્યાય કુલદીપભાઈ પુરોહિત અને વિમલભાઈ વ્યાસે જણાવ્યુંહતું કે, કથાકાર દ્વારા વ્યાસપીઠ પરથી જો કથા પૂર્ણ કરવામાં ન આવે તો કથાના આયોજક યજમાન અને વક્તા બંનેને દોષ લાગે છે. ભાગવત જેવા ગ્રંથની એક કલાક પાઠ કરી સંદર્ભ કથા કરવી જોઈએ જેવી રીતે બાળકો વેદ ભણે છે, કંઠસ્થ કરે છે તેવી રીતે ધર્મ ગ્રંથો પણ કંઠસ્થ કરવા જોઈએ
રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગો વચ્ચે સંકલનના અભાવને કારણે પ્રજાજનો મુશ્કેલી વેઠી રહ્યા છે. શહેરમાં નવા નક્કોર રોડ બનાવ્યાના મહિનાઓના જ સમયગાળામાં રોડ ખોદી નાખી પ્રજાના પૈસાનું પાણી કરવામાં આવે છે ત્યારે એવો જ કિસ્સો શહેરના વોર્ડ નંબર 9માં સામે આવ્યો છે. જ્યાં પાણીની લાઈન નાખ્યા બાદ નવો રોડ તો બન્યો, પરંતુ યોગ્ય પુરાણ કરવામાં ન આવતા ફરી રોડ બેસી ગયો. એટલું ઓછું હોય તેવામાં રોડ બનાવતા પહેલા પાણીની વાલ્વ ચેમ્બર બનાવવાના બદલે રોડ બન્યા બાદ વાલ્વ ચેમ્બર બનાવી અહીં રોડ પર જ મલબો રાખી દેવામાં આવતા દરરોજ અનેક વાહનચાલકો અકસ્માતોનો ભોગ બની રહ્યા છે. શહેરના ગોપાલ ચોકથી બાપા સીતારામ ચોકને જોડાતા મુખ્ય રોડ પર વોર્ડ નંબર 9માં મનપાની વોર્ડ ઓફિસ સામે જ મહાનગરપાલિકાના ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોની લાપરવાહી જોવા મળી રહી છે. ચોમાસા પહેલાં અહીં પાણીની નવી લાઈન નાખવાની કામગીરી કરવામાં આવ્યા બાદ અભય ભારદ્વાજ હોલ પાસે પાણીની વાલ્વ ચેમ્બર બનાવવાનું ઈજનેર અને કોન્ટ્રાક્ટર ભૂલી જતા પંદરેક દિવસ પૂર્વે રસ્તો ખોદી નાખી અહીં નવી વાલ્વ ચેમ્બર રોડની વચ્ચોવચ બનાવવામાં આવી છે. જોકે વાલ્વ ચેમ્બર બનાવ્યા બાદ હજુ સુધી રોડ પરથી પથ્થર, સિમેન્ટ સહિતનો મલબો હટાવવામાં આવ્યો ન હોવાથી અહીંથી પસાર થતા વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. મહત્ત્વનું છે કે, પાણીની લાઈન નાખવામાં આવ્યા બાદ અહીં નવો પેવર રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ પાઈપલાઈન ખોદાણ બાદ યોગ્ય પુરાણ ન થયું હોવાથી રોડનો એક ભાગ બેસી જતા ચોમાસામાં જ પેચવર્ક કરાયું હતું જે પણ હાલમાં બેસી ગયું હોવાથી અહીંથી પસાર થતા હજારો વાહનચાલકોને હાલાકી ભોગવવી પડતી હોવાનું સામે આવ્યું છે.
છાણી લેઉઆ પટેલ સમાજના શનિવારે સવારે યોજાયેલી રક્તદાન શિબિરનો નજારો અભૂતપૂર્વ હતો. જેમાં પહેલીવાર 300 પાટીદાર મહિલા રક્તદાન માટે પહોંચી હતી. અત્યાર સુધીના ઇતિહાસમાં લેઉઆ સમાજની મહિલાઓએ ક્યારેય રક્તદાન કર્યું ન હતું. સમાજના અગ્રણીઓ મુજબ શિબિરમાં 100થી વધુ પાટીદાર મહિલાઓનું રેકોર્ડબ્રેક રક્તદાન નોંધાયું હતું. મહિલાઓએ કહ્યું કે, 5 મહિના અગાઉ છાણીના લેઉઆ પટેલ હોલ ખાતે સંમેલનમાં સમાજની 800 જેટલી મહિલા હાજર રહી હતી. તે સમયે રક્તદાન શિબિરની જાહેરાત કરાઇ હતી. ત્યારે અમારામાં રક્તદાન માટે શંકા હતી. અમે 4-5ના ગ્રૂપમાં એકબીજાનો બ્લડ ડોનેશન કરી શકીએ છીએ, એ રીતે આત્મવિશ્વાસ વધારવાનું કામ કર્યું. આજે શિબિર યોજાઇ ત્યારે 300 જેટલી મહિલા આવી હતી. હિમોગ્લોબીન ઓછું હોવાથી 200 મહિલા રક્તદાન ન કરી શકીરક્તદાન માટે 300 મહિલાઓ પહોંચી હતી, પણ 200 જેટલી મહિલાનું હિમોગ્લોબીન ઓછું હોવાથી રક્ત આપી શકી નહોતી. જ્યારે 100 મહિલાએ રક્તદાન કર્યું, જેમાંથી 70 મહિલાએ પહેલીવાર રક્ત આપ્યું હતું. યુવા સંગઠનના અગ્રણી હિતેશ પટેલે કહ્યું કે, શિબિરમાં મેડિકલ કેમ્પ હતો. જેમાં તબીબોએ હિમોગ્લોબિન વધારવા બીટ અને ફોલિક એસિડની ટેબ્લેટ્સ સહિતના ઉપાયો દર્શાવ્યા હતા. શિબિરમાં 350 યુનિટ રક્ત એકત્ર થયું હતું. હવે રક્તદાનમાં મહિલાની સંખ્યામાં હજુ વધારો થશે ડાયેટ ચેન્જ કરવું જ પડશે. રક્તદાનથી એ વાત અડી ગઇ છે. બીજીવાર કેમ્પમાં આવીશું ત્યારે ચોક્કસ વધુ મહિલા રક્તદાન કરશે. > અર્પિતા પટેલ, છાણી રક્તદાન પુરુષોએ જ કર્યું છે, પાટીદાર મહિલા આવા કેમ્પમાં ગઇ નથી. આ શરૂઆત છે. અમને એ તો ખબર પડી કે શું ખાવું જોઇએ. > અંજલિ પટેલ, છાણી
વાહનચાલક માંડ માંડ બચ્યો:પીપીપી યોજનાની બિલ્ડિંગમાં 12મા માળેથી ક્રેનનો પાઇપ વાહનચાલક પર પડતાં ઘાયલ
રાજકોટના અમીન માર્ગ પાસે પીપીપી યોજના હેઠળ નિર્માણાધીન મણિયાર ક્વાર્ટરની બિલ્ડિંગમાં 12મા માળે લગાવેલી ક્રેન તૂટતાં તેનો એક પાઈપ રોડ પર પડ્યો હતો. આ સમયે એક યુવાન ત્યાંથી સ્કૂટર લઈને જઈ રહ્યો હતો અને પાઈપ સ્કૂટર પાસે પડતા તેનું વાહન અકસ્માતગ્રસ્ત થયું હતું. પાઈપ પડવાના અવાજથી ટોળાં એકઠા થયા હતા. સ્થળ પર ફાયર બ્રિગેડ પહોંચી હતી અને તુરંત જ યુવાનને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પીપીપી હેઠળ રાજકોટ મહાનગરપાલિકાએ મણિયાર ક્વાર્ટરના રિ-ડેવલપમેન્ટનું કામ જે.પી. સ્ટ્રક્ચર્સને આપ્યું છે. સવારે 11 વાગ્યા આસપાસ આ બિલ્ડિંગમાં ક્રેનમાંથી એક ભાગ તૂટી પડતા રોડ પરથી પસાર થયેલા એક સ્કૂટરચાલક યુવાન પર પડ્યો હતો જેથી તે ઈજાગ્રસ્ત થયો હતો. મોહિત નામના યુવાને તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરતાં સ્ટાફે યુવાનને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો યુવાને પોતાનું નામ સાવન ઠુમ્મર(ઉ.વ.27 જણાવ્યું હતું. તેને હાથ અને પગમાં ઈજા થઈ હતી. એમ્બ્યુલન્સ સિવિલે પહોંચી ત્યાં યુવાનના સ્વજનો પણ પહોંચી ગયા હતા. જોકે સ્વજનોને સોંપ્યા પહેલાં જ ફાયર બ્રિગેડનો સ્ટાફ યુવાનને ત્યાં મૂકીને આવી ગયો હતો. આ ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને બિલ્ડર પર રોષ ઠાલવ્યો હતો. વધુ લોકો એકઠા થાય તે પહેલાં બિલ્ડરના હાજર સ્ટાફે અકસ્માતગ્રસ્ત એક્ટિવાને ઢસડીને બિલ્ડિંગ સાઈટની અંદર મૂકી દીધુ હતું. ક્રેન છોડાવતી વખતે ઘટના બની, બિલ્ડરને નોટિસ અપાશેટી.પી. શાખાના ઈજનેરોને આ અંગે પૂછવામાં આવતા જણાવ્યું હતું કે, બિલ્ડિંગમાંથી ક્રેન છોડાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક પાઈપ નીચે પડતા દુર્ઘટના બની હતી. આ અંગે બિલ્ડરની બેદરકારી હોવાથી સોમવારે તેને નોટિસ ફટકારવામાં આવશે. હાલ બિલ્ડિંગના બીજા સેફ્ટી પ્રોટોકોલની તપાસ ચાલી રહી છે. ભાસ્કર ઇનસાઇડબિલ્ડરની બેદરકારીજે.પી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સનું ફોલ પ્રોટેક્શન નેટ વગર હાઈરાઈઝનું બાંધકામમનપાના જૂના હોદ્દેદારો અને પૂર્વ ઈજનેરો સાથે ઘરોબો ધરાવતા તેમજ પીપીપી કૌભાંડમાં જેમનું નામ અગાઉ આવી ગયું છે તેવા જે.પી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ પાસે જ આ પ્રોજેક્ટ હતો જ્યારથી તેણે કામ ચાલુ કર્યું છે ત્યારથી જ વિવાદ ચાલ્યો છે. પોતાના સાધનો, લોખંડ તેમજ મશીન માટે રોડ બંધ કરી દેવો, ફૂટપાથ પણ દબાવી દેવી જેવી ફરિયાદો રહી છે. જોકે ગંભીર બાબત એ છે કે, 12 માળની બિલ્ડિંગ કે જે મુખ્ય રોડ પર જ બને છે તેમાં સુરક્ષાના માપદંડો રાખવામાં આવ્યા ન હતા. હાઈરાઈઝ બિલ્ડિંગમાં દરેક તબક્કે અલગ અલગ ઊંચાઈએ ફોલ પ્રોટેક્શન નેટ લગાવવી ફરજિયાત છે. આ કારણે જો કોઇ વસ્તુ પડે તો રોડ પર ન પડે અને મજૂર પડી જાય તો પણ તેનો જીવ બચાવી શકાય જોકે દરેક વખતે નિયમ ઘોળીને પી જતા બિલ્ડરોએ આ નિયમ પણ પાળ્યો ન હતો. ભાસ્કર ફર્સ્ટ પર્સનપાઈપ એક્ટિવાની આગળ પડ્યો, માથું સહેજમાં રહી ગયુંસવારે 11 વાગ્યે હું અને વરજાંગભાઈ બિલ્ડિંગની સામે ઊભા હતા. એવા સમયે બિલ્ડિંગ ઉપરથી એક પાઈપ પડ્યો અને નીચે રોડ પરથી નીકળતા એક્ટિવા પર પડ્યો. એક્ટિવાના આગળના ભાગમાં પાઈપ લાગતા મોરાનો ભાગ તૂટી ગયો અને યુવાન પડી જતા હાથ અને પગમાં લાગ્યું હતું. જો પાઈપ માથા પર જ પડ્યો હોત તો શું થાત તેની કલ્પના પણ ન કરી શકાય. યુવાન ભાનમાં હતો એ જોઇને રાહત થઈ. > હસમુખભાઈ સભાડ ઈનસાઇડ
દેશભરમાં વાયુ પ્રદૂષણ મોટી સમસ્યા બની છે. વડોદરા સહિતનાં શહેરોમાં એલઈડી સ્ક્રીન પર એક્યુઆઈ બતાવવો પડી રહ્યો છે. ત્યારે હાલોલ કૃષિ યુનિ. અને તાજપુરાની શ્રીનારાયણ ગીર ગૌશાળા સાથે સંકળાયેલા ડો.રાજુ ઠક્કરે વાયુ પ્રદૂષણથી બચાવે તે માટે ગૌ કવચ ખેસ બનાવ્યા છે. જે એમોનિયા, કાર્બન ડાયોક્સાઈડ જેવા વાયુને શોષે છે અને જેણે ખેસ પહેર્યો હોય તેની આસપાસની એર ક્વોલિટી પણ સુધારે છે. તેમણે કહ્યું કે, કંતાન પર છાણ, ગૌ મૂત્ર, કપૂર સહિતની ઔષધિનો લેપ લગાવી ખેસ તૈયાર કર્યો છે. હાલોલ કૃષિ યુનિ.માં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં દ્વારિકાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત કેબિનેટ મંત્રીઓ અને અધિકારીઓને ગૌ કવચ ખેસ પહેરાવી સ્વાગત કરાયું હતું. અત્યાર સુધી 100 ખેસ બનાવ્યા છે. ખેસ નર્વસ સિસ્ટમને સક્રિય કરે છેગૌ કવચ ખેસનું વૈદિક, આરોગ્ય અને માનસિક લાભ ઘણા છે. જેમાં છાણની સુગંધ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને સક્રિય કરે છે. જેને કારણે તણાવ, ચિંતા અને નકારાત્મક ઊર્જામાં ઘટાડો થાય છે. > ડો.રાજુ ઠક્કર, શ્રીનારાયણ ગીર ગૌશાળા, તાજપુરા ખેસના વૈજ્ઞાનિક લાભો
પાલિકાની પાણી પુરવઠા શાખા દ્વારા વર્ષ દરમિયાન ભંગાણના સમારકામ સહિતની કામગીરીને પગલે જે તે વિસ્તારમાં પાણીની અછત સર્જાય છે, તે સમયે ટેન્કરથી પાણી વિતરણ કરાય છે. આ સંજોગોમાં પાણી વિતરણ કરવા 3.50 કરોડનો કોન્ટ્રાક્ટ આપવાનો પાલિકાએ નિર્ણય કર્યો છે. જેમાં ટેન્કર દીઠ રૂા.310 ચૂકવાશે. લાઇનમાં કોન્ટામિનેશન, લો-પ્રેશર, ગંદું પાણી, ભંગાણ, વાલ્વ બગડવા સહિતના પ્રશ્નના ઉકેલ માટે કામગીરી કરાય ત્યારે જે તે વિસ્તારમાં પાણી બંધ રહે કે ઓછું મળતું હોય છે. આ સંજોગોમાં ટેન્કરથી પાણી પહોંચાડાય છે. ચારે ઝોનમાં ડિપાર્ટમેન્ટને ફાળવેલાં વાહનથી પાણી પહોંચાડાય છે, જે પૂરતું નથી. જેથી જરૂરિયાત પૂરી કરવા ખાનગી વાહનો ભાડેથી લેવાની જરૂર રહે છે. આ વાહનોની ઘટને પહોંચી વળવા પાણી પુરવઠા વિતરણ શાખા દ્વારા ભાડેથી ટેન્કર મેળવવા વાર્ષિક ઇજારો કરાય છે. કોન્ટ્રાક્ટ એપ્રિલમાં પૂરો થતો હોવાથી વહેલી પ્રક્રિયા કરાઈપાણી પુરવઠાની રોજિંદી અગત્યની અને આવશ્યક કામગીરીમાં વિક્ષેપ ન પડે તેમજ ખાતાની કામગીરી કરવામાં સાનુકૂળતા રહે તે માટે ચાલુ ઈજારો પૂર્ણ થતાં સુધી નવીન ઈજારાની કાર્યવાહી થઈ રહે તે માટે પહેલેથી ઇજારો આપવાની પ્રક્રિયા કરાઇ રહી છે. ગત વર્ષે એપ્રિલમાં ઇજારો કરાયો હતો. રુ 310માં 1 ટેન્કર પ્રમાણે વર્ષમાં 1,12,903 ટેન્કર વિતરણ થશેપાલિકાએ પાણીના ટેન્કરનો રૂા.3.50 કરોડનો કોન્ટ્રાક્ટ આપવા દરખાસ્ત રજૂ કરી છે. જેમાં રૂા.310 લેખે 1 ટેન્કર પ્રમાણે વર્ષ દરમિયાન 1,12,903 ટેન્કરનું વિતરણ કરી શકશે. ગત વર્ષે પાલિકાએ 2 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેમાં 1 ટેન્કરનો ભાવ રૂા.389 હતો, જે પ્રમાણે 51,413 ટેન્કરથી પાણીનું વિતરણ કરાયું હતું. તે પછી જરૂર જણાતાં વધુ 1.50 કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો હતો.
મંડે મેગા સ્ટોરી:એપીકે ફાઇલથી ડેટા ચોરીનું ષડ્યંત્ર,સપ્તાહમાં 40થી વધુ યુવક-યુવતીઓને નિશાન બનાવ્યાં
સાયબર માફિયાઓએ હવે ડેટા ચોરી કરવાનું ષડ્યંત્ર શરૂ કર્યું છે. લોકોને એપીકે ફાઇલ મોકલી કે ડાઉનલોડ કરાવી ફોનના ડેટા ચોરી કરવામાં આવી રહ્યા છે. ફોનના ડેટા ચોરી કરીને સાયબર ગુનાઓને અંજામ આપવામાં આવે છે. એક અઠવાડિયામાં જ વિવિધ એપીકે ફાઇલ મોકલીને ડેટા ચોરી કરાતા હોવાના 40થી વધુ કેસ વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સુધી પહોંચ્યા છે. નવા વર્ષની શુભેચ્છા, આમંત્રણ, વિવિધ એપની મોડ એપીકે ફાઇલ બનાવી લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. મોબાઇલમાં ફાઇલ ડાઉનલોડ થતાં જ વોટ્સએપ સહિત ફોનના એક્સેસ ભેજાબાજો મેળવી લે છે અને ડેટા ચોરી કરી લે છે. આ ડેટામાં ફોનની ગેલેરી, કોન્ટેક્ટ્સ, નોટ્સ (કેટલાક લોકો સોશિયલ મીડિયાના પાસવર્ડ તેમાં લખતા હોય છે), ચેટ્સ વગેરે ચોરી કરી લે છે તેમ પોલીસે જણાવ્યું હતું. એપીકે ફાઇલ ખાસ કરીને વોટ્સએપના માધ્યમથી મોકલાય છે. જ્યારે તેને ઈન્ટરનેટ મારફતે કોઈ સાઇટ પરથી ડાઉનલોડ કરાવાય છે કે કોઈ ડાઉનલોડ કરે છે તો ડેટા ચોરી થવાની શક્યતા રહે છે. પોલીસ સુધી ભોગ બનનાર પહોંચતાં તેમના ફોનની અંદરના બગને ડિલીટ કરાવાય છે અને એપ અન-ઈન્સ્ટોલ કરાવાય છે. કેટલાક બનાવમાં લોકો એપીકે ફાઇલનો ભોગ બની રૂપિયા ગુમાવતા હોવાના કિસ્સા બન્યા હતા. કિસ્સો-1 વધુ જાહેરાત આવતી હોવાથી મ્યૂઝિક એપની એપીકે ડાઉનલોડ કરતાં ડેટાની ચોરી થઈવાઘોડિયા રોડના વિદ્યાર્થીએ જાણીતી મ્યૂઝિક એપ ડાઉનલોડ કરી હતી, તેમાં ઘણી એડ આવતી હતી. જેથી તેણે મોડ એપીકે કોઈ સાઇટ પરથી ડાઉનલોડ કરી હતી. થોડા સમયમાં વિદ્યાર્થીના બેકગ્રાઉન્ડ ડેટા ઝડપથી ઉપયોગ થવા લાગ્યા હતા. તેના ફોનની નોટ્સ, કોન્ટેક્ટ્સની માહિતીની પરમિશન એપે માગી હતી. સાથે અન્ય પરમિશન જેનું મ્યૂઝિક એપને કામ ન હોય તે માગી ડેટા ચોરી કર્યા હતા. કિસ્સો-2 મુવીની એપીકે ફાઇલે વિદ્યાર્થીની ગેલેરીના ડેટા ચોર્યા, ઇન્ટરનેટ પણ વાપરી નાખ્યુંવાસણા-ભાયલી રોડના વિદ્યાર્થીએ મૂવી જોવા પિકાશો નામની એપીકે ફાઇલ ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ ગેલેરી સાથે કોન્ટેક્ટ્સના એક્સેસની પરમિશન આપી હતી. તે પછી ઉપયોગ કર્યા વગર દિવસનું ઈન્ટરનેટ પૂર્ણ થયું હતું. તપાસ કરતાં એપ મારફતે ગેલેરી સહિતના ડેટા ચોરાયા હોવાનું જાણવા મળ્યું હતું. એપ પ્લે સ્ટોર-એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરો, ઠગાઈ થાય તો 1930 પર કોલ કરો
શહેરમાં છેલ્લા 15 વર્ષથી અવિરત અન્નદાતાઓ દ્વારા રાતના ભૂખ્યા પ્રાણીઓ તથા ગરીબ લોકોને અન્ન વિતરણ કરવામાં આવે છે. રેસ્ટોરન્ટ, હોટેલોના રાંધેલા અનાજનો દુરુપયોગ ન થાય તે હેતુથી આ સેવાભાવીઓ દ્વારા રોજ શહેરની અલગ અલગ વિસ્તારની હોટેલ-રેસ્ટોરન્ટમાંથી અનાજ એકઠું કરીને ભૂખ્યા ગરીબ લોકો સુધી પહોંચાડવાનો સેવાયજ્ઞ શરૂ કરાયો છે. આ સેવાભાવીઓ રોજ પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય ફાળવી લોકોની અને મૂંગા પશુઓની અવિરત સેવા કરે છે. આ સેવાનું કાર્ય તેજસભાઈ જોશી, દીપકભાઈ રાઠોડ, ડાયાભાઈ ટાંક, પ્રશાંતભાઈ જોધપુરા, રાજેશભાઈ હિંગુ, મેરામભાઇ આહીર, કરણભાઈ ઝાપડા અને ભરતભાઈ ચાવડા સહિતનાઓ દ્વારા કરવામાં આવે છે. આ લોકો પોતપોતાના જીવનમાં અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે. આમ છતાંય રોજ રાતે 9 વાગ્યાથી ઘરેથી વાહન લઈને જુદા-જુદા સ્થળે પહોંચી શ્વાનને દૂધ, ગાયને રોટલા, કીડીઓનું કીડિયારું અને અને ખિસકોલીઓને અન્નનું વિતરણ કરે છે. આ ઉપરાંત શહેરના વિવિધ હોટેલ-રેસ્ટોરન્ટના રાંધેલા અનાજને ફેંકી ન દેવામાં આવે તે અનાજથી ભૂખ્યા ગરીબ લોકોનું પેટ ભરાઈ તે માટે રોજ 200થી પણ વધારે લોકોને જમાડવામાં આવે છે. આ આઠેય ભાઈઓનું એક જ સૂત્ર છે કે, કીડીઓને કણ અને હાથીને મણ મળી જ રહે છે. મનુષ્ય તો માત્ર માધ્યમ છે. જેથી દરેક લોકોએ પોતાના જીવનમાં ક્યારેય પણ માનવતા ન ચૂકવી જોઈએ. મૂંગા પશુઓની સેવા એ જ મનુષ્યનું કર્તવ્ય છે. આ મિત્રો રૈયાધાર અને યુનિવર્સિટી કેમ્પસ વિસ્તાર સુધી પહોંચી આ સેવાનું કાર્ય કરે છે. અંદાજે અઢી હજાર ઉંદરડા અને ખિસકોલીઓ અને 400થી પણ વધારે શ્વાન અને ગાયો, ભૂંડ તેમજ 200થી પણ વધારે ભૂખ્યા માણસોને દરરોજ ભોજન પૂરું પાડી તેમના પેટ ભરવાનું કાર્ય કરે છે.
શિયાળાની ઠંડીએ જોર પકડ્યું છે, ત્યારે જેસલરાજ ટ્રસ્ટ દ્વારા “સેવાગંગા’ નામે એક ધાબળા વિતરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં ટ્રસ્ટના સભ્યો દ્વારા ગરીબ જરૂરિયાતમંદ લોકો સુધી ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવે છે. જેથી આવી કડકડતી ઠંડીમાં પણ કોઈ ગરીબ માણસ ઠંડીના કારણે ઠૂંઠવાય નહીં અને તેમનું પણ સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી આ અભિયાન અવિરત 4 વર્ષથી કાર્યરત છે. જેસલરાજ ટ્રસ્ટના પ્રમુખ, પૂજાબા વનરાજસિંહ જાડેજાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 2008થી સંસ્થામાં વિવિધ સામાજિક સેવા કાર્યો કરી રહ્યા છે. છેલ્લા ચારેક વર્ષથી તેઓ દર વર્ષે ગરીબોને વિનામૂલ્યે ગરમ કપડાં-ધાબળાનું વિતરણ કરી રહ્યા છે. આ સેવાના કાર્યમાં તેઓનો પરિવાર અને નજીકના લોકો ઉપરાંત જે કોઈ પણ વ્યક્તિ કે જે આ ભગીરથ સેવામાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓ પણ યથાશક્તિ મદદ કરે છે. વધુમાં પૂજાબાએ જણાવ્યું હતું કે, આપણે શિયાળામાં ઘરમાં રહેતા હોવા છતાંય ઠંડી અનુભવતા હોઈએ છીએ, તો કેટલાક એવા લોકો પણ સમાજમાં જીવે છે કે જેમની પાસે રહેવા માટે છત કે અંગ ઢાંકવા માટે કપડાં પણ નથી હોતા, તો મનુષ્ય તરીકે આપણું કર્તવ્ય છે કે જરૂરિયાતમંદોને સેવાના એક ભાગરૂપે વસ્ત્ર ઇત્યાદિનું વિતરણ કરીએ. જે લોકો સેવામાં સમય નથી ફાળવી શકતા તેઓ આર્થિક સહાય પૂરી પાડી શકે છે અથવા તો પોતાની રીતે જ વસ્તુ ઈત્યાદિને સંસ્થા સુધી પહોંચાડી શકે છે. આ સંસ્થા દ્વારા શહેરના ખૂણે ખૂણે ઝૂંપડપટ્ટી, ફૂટપાથ ઉપર રહેતા બેઘર જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળા પહોંચાડવામાં આવે છે. અત્યાર સુધીમાં ઘણા બધા ગરીબોને આ સેવાનો લાભ મળી ચૂક્યો છે. હજુ વધુ લોકો સેવાનો લાભ લે એ હેતુથી સંસ્થા કાર્યરત છે. આ સેવા થકી ગરમ વસ્ત્રોને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી અમુક લોકોને ઠંડીમાં હેરાન થતા બચાવી શકાશે અને સમાજમાં માનવતા હજુ પણ જીવંત છે. તેના ઉત્તમ ઉદાહરણ તરીકે લોકોમાં આશાનું કિરણ જીવંત રાખી શકાશે.
ભાસ્કર એનાલિસીસ:પશ્ચિમ કચ્છમાં 2025માં ઠગાઇના 99 ગુના, 2024થી ડબલથી પણ વધુ
સરહદી પશ્ચિમ કચ્છ જિલ્લામાં વર્ષ 2024 ની સરખામણીએ ગત વર્ષ 2025 માં ગંભીર ગુનાઓમાં વધારો થયો છે. રાજ્યના સૌથી મોટા જિલ્લામાં એક જ વર્ષમાં ઠગાઈના ડબલથી પણ વધારે બનાવો બન્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત હત્યા, હત્યાની કોશિશ, ધાડ, લુંટ, દુષ્કર્મ, પોક્સો અને જીવલેણ અકસ્માતના બનાવોમાં વધારો થતા ગંભીર પ્રકારના બનાવોમાં વધારો નોંધાયો છે. જોકે મોટા ભાગના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. ઔદ્યોગિક એકમો, પવનચક્કી, રણ, દરિયો અને મોટા ધાર્મિક સ્થળો ધરાવતા પશ્ચિમ કચ્છ જિલ્લામાં સુરક્ષાના ભાગરૂપે પોલીસને સતત એલર્ટ રહેવું પડે છે. જોકે 26 પોલીસ મથક ધરાવતા આ જિલ્લામાં વર્ષ 2024 ની સરખામણીએ 2025 માં ગુનાખોરી વધી છે. જેમાં ખાસ કરીને ગત વર્ષે ઠગાઈના બનાવો ડબલથી પણ વધારે નોધાયા છે. વર્ષ 2024 માં માત્ર 48 બનાવ બન્યા હતા જેની સામે 2025 માં વધીને 99 સુધી પહોચ્યા છે. તેમજ વિશ્વાસઘાતના 15 ગુના નોંધાતા તેમાં પણ વધારો થયો છે. આ ઉપરાંત 2024 માં ધાડનો એકપણ બનાવ ન હતો જેની સામે ગત વર્ષે 2 બનાવ બન્યા છે. તેમજ વર્ષ 2024 માં દુષ્કર્મના 34 બનાવ બન્યા હતા જેની સામે ગત વર્ષે 39 ગુના નોધાયા છે, જ્યારે પોક્સોના 25ની સામે 43 ગુના નોધાતા તેમાં પણ વધારો થયો છે. સતત ભારે વાહનોની અવર જવર વાળા જિલ્લામાં અકસ્માતના બનાવો પણ વધ્યા છે. જેમાં 297 બનાવની સામે 313 અને અકસ્માતમાં જીવ ગુમાવવાના 138 ની સામે 162 બનાવ બનતા ફેટલના 24 બનાવનો વધારો થયો છે. આ ઉપરાંત ઘરફોડ ચોરી, વાહન ચોરી, મંદિર ચોરી અને રાયોટીંગના બનાવોમાં આંશિક ઘટાડો થયો છે. પરંતુ વર્ષ 2024 ની સરખામણીએ 2025 માં 436 જેટલા ગુના વધુ નોંધાયા છે જે ચિંતાજનક છે. જોકે વધી રહેલી ગુનાખોરી સામે પોલીસે મોટા ભાગના ગુનાનો ભેદ પણ ઉકેલી લીધો છે. એકજ વર્ષમાં હત્યાના 7 બનાવ વધ્યા,1 ગુનો હજુ વણઉકેલાયેલોહાલના સમયમાં માણસની સહનશીલતા ઘટી છે જેના કારણે નાની નાની બાબતોમાં આવેશમાં આવી જઈ લોહિયાળ બનાવને અંજામ આપી દે છે. ત્યારે વર્ષ 2024 માં પશ્ચિમ કચ્છમાં હત્યાના 21 બનાવ બન્યા હતા જેની સામે 2025 માં 28 બનાવ બનતા 7 હત્યાનો વધારો થયો છે. જ્યારે હત્યાની કોશિશના 10 બનાવની સામે 2025 માં 23 બનાવ બનતા તેમાં પણ વધારો થયો છે. પોલીસે હત્યાના 27 ગુનાનો ભેદ ઉકેલી લીધો છે, જોકે ગઢશીશા પોલીસ મથકે નોંધાયેલા 45 વર્ષીય યુવાનની હત્યાના બનાવમાં હજુ સુધી પોલીસ આરોપી કે કારણ શોધી શકી નથી. વર્ષ 2025 દરમિયાન એટ્રોસિટીના 36 ગુના, નોંધપાત્ર ઘટાડો નોંધાયોપશ્ચિમ કચ્છમાં એટ્રોસીટી એક્ટ હેઠળ નોંધાતા ગુનામાં ઘટાડો થયો છે. વર્ષ 2022 માં એસસીએસટી સેલમાં ડીવાયએસપી એમ.જે.ક્રિશ્ચન ફરજ પર આવ્યા હતા. વર્ષ 2022 માં ગુનાની સંખ્યા 70 હતી જે વર્ષ 2023 માં 64 થયા બાદ 2024 માં 50 અને ગત વર્ષે માત્ર 36 ગુના નોધાતા તેમાં 50 ટકા જેટલો ઘટાડો થયો છે. માત્ર નવા ગુના અટકાવવા જ નહીં પરંતુ વર્ષોથી કોર્ટમાં પેન્ડીંગ પડી રહેલા કેસોના નિકાલમાં પણ સારી કામગીરી કરી છે. પરિણામે ડીવાયએસપી ફરજ પર આવ્યા ત્યારે 2022 માં કુલ 53 કેસ પેન્ડીંગ હતા જે અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં માત્ર 14 કેસ પેન્ડીંગ રહ્યા છે. આ ઉપરાંત ગુનાની નિષ્પક્ષ તપાસ અને ઊંડાણપૂર્વકની કામગીરીથી ગુનેગારોને દાખલો બેસાડતી સજા થયેલી છે. જેમાં માનકુવા પોલીસ મથકે નોંધાયેલા દિલીપ આહીરને મરવા મજબુર કર્યાના ગુનામાં સત્ય બહાર લાવવામાં આવ્યું. આ ઉપરાંત સાયબર પોલીસ મથકે નોધાયેલા ગુનામાં આરોપીએ પોતાનો ધર્મ છુપાવી 28 યુવતીઓને ફસાવી હતી જેમાં તલસ્પર્શી તપાસ કરવામાં આવી છે. જિલ્લામાં સારી કામગીરીને કારણે ડીવાયએસપી એમ.જે.ક્રિશ્ચનને 16 જેટલા પ્રસંશાપત્ર પણ મળ્યા છે.
બુટલેગર ઝડપાયો:ઘાટલોડિયામાં 336 બોટલ સાથે બુટલેગર ઝડપાઈ ગયો
ભૂયંગદેવ ચારરસ્તા પાસે શ્રીનગર ફ્લેટમાં બુટલેગર દિલીપ અસરાનીને દારૂની ડિલિવરી કરવા આવેલા વાડજના બુટલેગરને ક્રાઈમ બ્રાંચે 336 બોટલ તથા ગાડી સાથે ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી દારૂ ભરેલી ગાડી પકડી પાડવા સાથે વાડજના સોરાબજી કમ્પાઉન્ડમાં રહેતા બુટલેગર સન્ની ઉર્ફે માંજરો તોલાણીને ઝડપી લઇ તપાસ કરતા તેની ગાડીમાં 3 થેલામાંથી દારૂની 336 બોટલ મળી આવતા પોલીસે દારૂ તથા ગાડી સાથે સન્નીની ધરપકડ કરી રૂ.3.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજસ્થાનથી બસમાં દારૂ અમદાવાદ આવ્યો હતોસન્નીએ જણાવ્યું કે રાજસ્થાનના સાંચોરના બુટલેગર માંગીલાલ પાસેથી તે દારૂ મગાવતો હતો. 2 દિવસ પહેલાં જથ્થો મગાવ્યો હતો, જેથી માગીલાલે ખાનગી બસમાં દારૂનો જથ્થા સાથે પેસેન્જરરૂપે બેઠો હતો. વહેલી સવારે બસ અડાલજ આવી ત્યારે સન્ની ગાડી લઈ અડાલજ પહોંચ્યો હતો, જ્યાં દારૂ સન્નીને આપતાં તે ગાડીમાં દારૂ લઈ જતો રહ્યો હતો. જ્યારે માંગીલાલ વળતી બસમાં રાજસ્થાન જતો રહ્યો હતો. આ માહિતીના આધારે પોલીસે માંગીલાલને પકડવાની તજવીજ આદરી છે.

27 C