SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

34    C
...

સદગુરૂ ટ્રેડિંગ કંપની નામની પેઢી પર SOG-ફૂડ વિભાગનો દરોડો:તેલના સેમ્પલ લેબમાં મોકલાયા, ભેળસેળની આશંકાએ વેપારીઓમાં ફફડાટ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં જન આરોગ્ય સાથે ચેડા કરતા ભેળસેળીયા તત્વો સામે પોલીસ તંત્રે સખત વલણ અપનાવ્યું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમે વેરાવળના વખરીયા બજાર વિસ્તારમાં આવેલ ખાદ્ય તેલના વેપારીઓ પર અચાનક દરોડા પાડતા વેપારી વર્ગમાં ખળભળાટ મચી ગયો હતો. મળતી માહિતી અનુસાર SOGની ટીમે ફૂડ વિભાગના અધિકારીઓને સાથે રાખીને વખરીયા બજારમાં આવેલી સદગુરૂ ટ્રેડિંગ કંપની નામની પેઢી પર દરોડો પાડ્યો હતો. ખાદ્ય તેલમાં ભેળસેળ થતી હોવાની આશંકાને આધારે ટીમે દુકાનમાં રાખેલા વિવિધ તેલના જથ્થાની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ફૂડ વિભાગના અધિકારીઓએ તેલના સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ લેબ ટેસ્ટિંગ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે તેલમાં કોઈ પ્રકારની ભેળસેળ છે કે નહીં. જો રિપોર્ટમાં ભેળસેળ સાબિત થશે તો સંબંધિત વેપારી સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર કાર્યવાહી ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા એસ.પી. જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. છેલ્લા થોડા સમયથી બજારમાં ભેળસેળવાળા ખાદ્ય પદાર્થો અંગે મળતી બાતમીને ધ્યાનમાં રાખીને પોલીસ અને ફૂડ વિભાગે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું હોવાનું જાણવા મળે છે. વેરાવળ શહેરના વેપારી વિસ્તારમાં થયેલી આ અચાનક કાર્યવાહીથી ભેળસેળીયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સામાન્ય લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે પોલીસ અને ફૂડ વિભાગ આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખશે તેવી સૂચનાઓ આપવામાં આવી છે. સ્થાનિક નાગરિકોમાં પણ આ કાર્યવાહીને લઈને સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. કારણ કે બજારમાં વેચાતા ખાદ્ય તેલની ગુણવત્તા અંગે લોકોમાં છેલ્લા કેટલાક સમયથી શંકા વ્યક્ત થતી હતી. હવે લેબ રિપોર્ટ બાદ સમગ્ર મામલો વધુ સ્પષ્ટ બનશે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 8:55 pm

‘તેરા તુજ કો અર્પણ’:ગાંધીનગરના મોલમાં ભુલાયેલી સોના-ચાંદીના દાગીના ભરેલી બેગ પોલીસે ગણતરીના કલાકોમાં યુવતીને પરત કરી

કહેવાય છે કે ખાખી માત્ર કાયદો અને વ્યવસ્થા જ નથી જાળવતી, પણ મુશ્કેલીના સમયે નાગરિકોની સાચી સાથી પણ બને છે. આવો જ એક કિસ્સો ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ઈન્ફોસિટી પોલીસની સતર્કતા અને પ્રામાણિકતાને કારણે એક યુવતીની કિંમતી ઘરેણાં અને રોકડ ભરેલી બેગ સુરક્ષિત રીતે પરત મળી છે. ગાંધીનગરના સરગાસણ સ્થિત સ્વાગત હોલીડે મોલમાં એક યુવતી પોતાની બેગ ભૂલી ગઈ હતી. આ અંગેની જાણ થતાં પીઆઈ. વી.આર. ખેરની ટીમે ત્વરિત તપાસ શરૂ કરી હતી. દરમિયાન ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનની PCR ટીમ એક્શનમાં આવી હતી. ત્યારે બેગની તપાસ દરમિયાન ટીમને તેમાંથી માલિકનું આધારકાર્ડ મળી આવ્યું હતું. બેગમાં સોનાની બુટ્ટી, સોનાની વીંટી, ચાંદીનું બ્રેસલેટ અને 2200 રૂપિયા રોકડા હતા. આ કાર્ડના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને કોન્ટેક્ટ ડિટેલ્સ મેળવી માલિકનો સંપર્ક સાધ્યો હતો. આ સમગ્ર તપાસમાં પો.કો. ચેહરાજી હેમતુજી હે.કો. વિક્રમસિંહ બલવંતસિંહએ પાયાની ભૂમિકા ભજવી હતી. તેમણે બેગમાં રહેલી તમામ વસ્તુઓની યોગ્ય ખાતરી કરી મૂળ માલિકને બોલાવી તમામ સામાન સુપરત કર્યો હતો. ત્યારે પોતાના કિંમતી ઘરેણાં પરત મેળવી માલિકે ગદગદિત થઈ પોલીસ જવાનોનો આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 8:48 pm

ગેસ વિતરણમાં પારદર્શકતા લાવવા AAPનું કલેક્ટરને આવેદનપત્ર:સંકટના સમયે વચેટીયાઓ જનતાના હકો ન ઝૂંટવે તે માટે 'રિયલ ટાઈમ' ઓનલાઈન ડેટા જાહેર કરવા અને હેલ્પલાઈન શરૂ કરવા માગ

વર્તમાન રાષ્ટ્રીય સંકટની પરિસ્થિતિમાં સામાન્ય નાગરિકોને પાયાની જરૂરિયાતો મેળવવામાં મુશ્કેલી ન પડે અને ગેસ વિતરણ જેવી આવશ્યક સેવાઓમાં ભ્રષ્ટાચાર કે કાળાબજારી ન થાય તે હેતુથી સુરત આમ આદમી પાર્ટી દ્વારા વહીવટી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીની આગેવાનીમાં આજે મોટી સંખ્યામાં આપના કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. પારદર્શકતા માટે રિયલ ટાઈમ ડેટાની માગઆમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં સૌથી મહત્વની માંગણી ગેસ વિતરણ પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ અને પારદર્શક બનાવવાની છે. ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, ગુજરાતની તમામ ગેસ એજન્સીઓને દરરોજ કેટલી બોટલોનો જથ્થો ફાળવવામાં આવે છે, તેમાંથી કેટલા બુકિંગ કન્ફર્મ થયા છે અને વાસ્તવમાં કેટલા ગ્રાહકોને વિતરણ કરવામાં આવ્યું છે, તેના આંકડા પળેપળ ઓનલાઈન અપડેટ થવા જોઈએ. પક્ષનું માનવું છે કે, જો આ માહિતી જાહેર જનતા માટે ઉપલબ્ધ હશે, તો એજન્સીઓ દ્વારા કરવામાં આવતી સંભવિત ગેરરીતિઓ પર લગામ લગાવી શકાશે. ગ્રાહકોને ખબર હોવી જોઈએ કે સ્ટોક હોવા છતાં તેમને ના પાડી શકાય નહીં. ઇમરજન્સી હેલ્પલાઈન અને કડક દંડની જોગવાઈગેસ પુરવઠામાં ક્યાંય પણ વિસંગતતા જણાય અથવા કોઈ એજન્સી કે ડિલર દ્વારા ગેરરીતિ કરવામાં આવતી હોય, તો તેની તાત્કાલિક ફરિયાદ કરવા માટે એક સમર્પિત ઇમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. ધર્મેશ ભંડેરીએ ચેતવણી આપતા કહ્યું કે, માત્ર હેલ્પલાઈન શરૂ કરવાથી ચાલશે નહીં, પરંતુ તેના પર આવતી ફરિયાદોનો નિકાલ 24 કલાકમાં થવો જોઈએ. જે લોકો રાષ્ટ્રીય સંકટના સમયે ગેસની કાળાબજારી કરી સામાન્ય લોકોના ખિસ્સા ખંખેરે છે, તેમની સામે કડક ફોજદારી કાર્યવાહી થવી જોઈએ અને તેમને મસમોટો દંડ ફટકારીને સમાજમાં દાખલો બેસાડવો જોઈએ. દિવ્યાંગો-વૃદ્ધોને લાઈનમાં ન ઉભવું પડે તેવી વ્યવસ્થા કરવા માગઆ આવેદનપત્રમાં માનવીય અભિગમ દાખવીને કેટલીક વિશેષ શ્રેણીઓ માટે પ્રાથમિકતા આપવાની રજૂઆત કરવામાં આવી છે કે, હોસ્પિટલોમાં દર્દીઓના ભોજન અને અન્ય સેવાઓ માટે ગેસની અછત ન સર્જાય, તેમજ વૃદ્ધાશ્રમો, અનાથાલયો અને સદાવ્રતોમાં ગેસનો પુરવઠો અવિરત રહેવો જોઈએ. દિવ્યાંગ વ્યક્તિઓ, એકલા રહેતા વૃદ્ધો અને એકલી રહેતી મહિલાઓને ગેસ સિલિન્ડર મેળવવા માટે લાંબી લાઈનોમાં ન ઊભા રહેવું પડે અથવા તેમને વિતરણમાં પ્રથમ પ્રાધાન્ય મળે તેવી વ્યવસ્થા ગોઠવવા માગ કરાઈ છે. લાગવગ પણ બંધ કરાવવા માગધર્મેશ ભંડેરીએ પોતાના સંબોધનમાં ભૂતકાળના કડવા અનુભવોને યાદ કરતા સરકાર અને વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં આપણે જોયું છે કે લાગવગ ધરાવતા લોકોને હોસ્પિટલના બેડ, ઓક્સિજન સિલિન્ડર અને રેમડેસિવિર ઇન્જેક્શન સરળતાથી મળી જતા હતા, જ્યારે સામાન્ય લોકો રસ્તા પર દમ તોડી રહ્યા હતા. નોટબંધી સમયે પણ સામાન્ય માણસ લાઈનમાં ઉભો રહ્યો હતો અને લાગવગવાળા લોકો પાછલા બારણેથી નાણાં બદલાવી રહ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે, ગેસ વિતરણમાં પણ આવી જ ભ્રષ્ટ પ્રથા ન સર્જાય તે જોવાની જવાબદારી તંત્રની છે. જો અત્યારથી જ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો વચેટીયાઓ અને મળતિયાઓ સક્રિય થઈ જશે અને ગરીબ માણસના ઘરનો ચૂલો સળગવો મુશ્કેલ થઈ જશે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 8:46 pm

મોબાઈલ ચોરીનો આરોપી ઝડપાયો:LCBએ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો, ચોરાયેલો મોબાઈલ પોલીસે જપ્ત કર્યો

ડાંગ જિલ્લાના આહવા વિસ્તારમાં થયેલી મોબાઈલ ચોરીનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ડાંગ-આહવાએ ઉકેલી લીધો છે. પોલીસે ચોરીમાં ગયેલા મોબાઈલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS) દ્વારા અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવા અને નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા કડક સૂચનાઓ અપાઈ હતી. આ સૂચનાના આધારે ડાંગ-આહવાના પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ LCBની ટીમ તપાસ કરી રહી હતી. તપાસ દરમિયાન LCBના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે. જી. અનડકટ અને તેમની ટીમને બાતમી મળી હતી. બાતમી મુજબ, આહવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલો એક શખ્સ ચોરીનો મોબાઈલ લઈને આહવા બસ સ્ટેશન ખાતે હાજર હતો. બાતમીના આધારે ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી વોચ ગોઠવી. બસ સ્ટેશન નજીક બાતમી મુજબના વર્ણનવાળો શખ્સ દેખાતા તેને અટકાવી તપાસ કરાઈ. તેની પાસેથી ઓપ્પો કંપનીનો ગોલ્ડન કલરનો મોબાઈલ મળી આવ્યો. પૂછપરછમાં આરોપી સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. પોલીસે યુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેણે પોતાનું નામ જયેશ સોનુભાઈ કુંવર (ઉંમર 36, રહે. ઝરણ ગામ, તા. સુબીર, જી. ડાંગ) જણાવ્યું. તેણે આહવા ટાઉન વિસ્તારમાં આવેલી ગ્રામિણ બેંકમાંથી મોબાઈલ ચોરી કર્યાની કબૂલાત કરી. પોલીસે આરોપી પાસેથી આશરે રૂપિયા 14,000ની કિંમતનો ઓપ્પો કંપનીનો ગોલ્ડન કલરનો મોબાઈલ કબજે કર્યો. તપાસમાં આ મોબાઈલ આહવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ચોરી થયેલો હોવાની ખાતરી થઈ હતી. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી માટે આહવા પોલીસ સ્ટેશનને સોંપ્યો. આ સમગ્ર કામગીરી PSI જે.જી. અનડકટના માર્ગદર્શન હેઠળ ASI પ્રમોદભાઈ નીવર, ASI રમેશભાઈ પવાર, પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ ગામીત, દિનેશભાઈ ગાંગુડા સહિત LCBની ટીમે કરી હતી.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 8:40 pm

પાટણના 1.82 લાખથી વધુ ખેડૂતોને PM કિસાન સહાય મળી:જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં PM કિસાન ઉત્સવ દિવસ ઉજવાયો

આજે દેશભરમાં “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુવાહાટી (આસામ) ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના 9.32 કરોડથી વધુ ખેડૂત કુટુંબોને રૂ.18650 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવી હતી. આ પ્રસંગે યોજનાનો 22મો હપ્તો રીલીઝ કરવામાં આવ્યો હતો. આ અવસરે પાટણ ખાતે ન્યુ શાકભાજી માર્કેટમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમનું આયોજન થયું હતું. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનનું ગુવાહાટીથી આપવામાં આવેલું સંબોધન તેમજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. રાજ્યમાં આ યોજના અંતર્ગત 49.59 લાખથી વધુ ખેડૂતોને રૂ.1028 કરોડથી વધુની સહાય 22મા હપ્તા તરીકે સીધી તેમના બેંક ખાતામાં જમા થનાર છે. પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાટણ જિલ્લાના 1,82,856 ખેડૂતોને રૂ.2000 લેખે કુલ રૂ.37.56 કરોડની સહાય DBT મારફતે તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પાટણ જિલ્લાએ કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. જિલ્લામાં કુલ 3,96,268 હેક્ટર ખેતીલાયક વિસ્તાર છે અને ખેડૂતોની મહેનત તેમજ સરકારની વિવિધ સહાયકારી યોજનાઓના કારણે કૃષિ ક્ષેત્રે સતત વિકાસ થઈ રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પાટણ જિલ્લામાં આઇ-ખેડૂત પોર્ટલ હેઠળ કુલ 32,282 ખેડૂતોને રૂ.7857.03 લાખ જેટલી સહાય આપવામાં આવી છે. આ સહાયના કારણે ખેડૂતોને આધુનિક કૃષિ સાધનો, મશીનરી તથા નવીન ખેતી પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહન મળ્યું છે. પ્રમુખે ખેડૂતોને ડ્રોન ટેકનોલોજી, આધુનિક ખેતી પદ્ધતિઓ અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા પણ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ હેતલબેન ઠાકોર તથા મંચસ્થ મહાનુભાવોના હસ્તે ખેડૂત લાભાર્થીઓને વિવિધ યોજનાઓના પૂર્વ મંજૂરી ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ખેતીવાડી અધિકારી જીગ્નેશ પટેલ સહિત વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 8:33 pm

શ્રમિક પરિવારની દીકરી સાથે ચોંકાવનારી ઘટના:14 વર્ષની સગીરાને પાંચ માસ સુધી ગર્ભનિરોધક ગોળી ખવડાવી ચાર સંતાનના પિતા એવા કાકાએ દુષ્કર્મ આચર્યું

રાજકોટ શહેરમાં જુના માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારમાં લોહીના સંબંધોને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. સંયુકત પરિવારમાં રહેતી 14 વર્ષની સગીરા પર ચાર સંતાનોના પિતા એવા નરાધમ કાકાએ ગર્ભ નિરોધક ગોળીઓ ખવડાવી સગીરા પર સતત પાંચ માસ સુધી દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ સગીરાના પિતાએ નોંધાવતા પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેરના માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં રહેતા આધેડે બી ડીવીઝન પોલીસમાં તેના ભાઈ સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે સંયુકત પરિવારમાં રહે છે. તેના ભાઈની પત્ની છેલ્લા ઘણા સમયથી પોતાના ચાર સંતાનો સાથે રિસામણે હોવાથી શખસ એકલવાયું જીવન જીવતો હોવાથી નરાધમે પોતાની પુત્રી સમાન ભત્રીજી પર કુદ્રષ્ટિ રાખી સગીરાને ગર્ભ નિરોધક ગોળીઓ ખવડાવી પોતાની હવસ સંતોષતો હતો. સગીરાની માતા 15 દિવસ પૂર્વે અન્ય સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા અને તેના પિતા મજૂરી કામ અર્થે બહાર જાય ત્યારે આરોપી સગીરાને શિકાર બનાવી શોષણ કરતો હતો. સગીરા પાસેથી ગોળીઓ મળી આવતા તેની હાલની માતાએ પૂછતાછ કરતા આ ગોળીઓ તેના કાકાએ આપી હોવાનું કહ્યું હતું જેથી તેની પૂછતા પોતે કોઈ દવા ન આપી હોવાનું બહાનું બનાવ્યું હતું. દરમ્યાન સગીરાને પેટમાં દુખાવો ઉપડયો હોવાથી તબીબ પાસે તપાસ અર્થે દવાઓ લઈને જતા સમગ્ર હકકીત સામે આવી હતી. તબીબે જણાવ્યું હતું કે આ ગોળીઓ સગર્ભા બનતા અટકાવે છે અને માસિક જલ્દી આવે છે આનું વધુ પડતું સેવન કરવાથી પેટમાં ઈન્ફેકશન થઈ ગયું હતું જેથી સગીરાને પૂછતા તેણીએ કહ્યું કે કાકા છેલ્લા પાંચેક માસથી આ ગોળીઓ પીવડાવી શરીર સંબંધ બાંધતા હોવાની અને આ વાતની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હોવાનું જણાવતા બી ડિવિઝન પોલીસે પિતાની ફરિયાદ પરથી આરોપી સામે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 8:32 pm

પાટણ નગરપાલિકાની ટર્મ પૂર્ણ, કર્મચારીઓનું સન્માન કરાયું:શાસક પક્ષે 5 થી 15 વર્ષના સહયોગ બદલ કર્મચારીઓનો આભાર માન્યો

પાટણ નગરપાલિકાના શાસક પક્ષની ટર્મ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો દ્વારા પાલિકાના તમામ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા 15 વર્ષના સમયગાળા દરમિયાન વિવિધ ટર્મમાં ચૂંટાયેલા સભ્યોને વહીવટી કામગીરીમાં સહકાર આપવા બદલ આ કાર્યક્રમ યોજાયો હતો. આ સન્માન કાર્યક્રમમાં પાલિકાના એવા કર્મચારીઓનું બહુમાન કરાયું હતું જેમણે છેલ્લા 5, 10 અને 15 વર્ષથી નગરસેવકોને વહીવટી સ્તરે ઉત્કૃષ્ટ સાથ અને સહકાર પૂરો પાડ્યો હતો. નગરપાલિકાની કામગીરીને સુચારુ રીતે ચલાવવામાં કર્મચારીઓનો ફાળો મહત્વનો રહ્યો છે. પાટણ નગરપાલિકાના કોર્પોરેટર મનોજ પટેલે કર્મચારીઓના યોગદાનની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું કે, નગરસેવક તરીકેની વિવિધ ટર્મ દરમિયાન કર્મચારીઓએ કરેલી કામગીરી પ્રશંસનીય છે. તેમના સહયોગ વિના પાલિકાનું કાર્ય સુપેરે પાર પડી શક્યું ન હોત. ભારતીય જનતા પાર્ટીના તમામ નગરસેવકો અને નગરજનોએ સાથે મળીને પાલિકાના નાના-મોટા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. નગરસેવકોએ આગામી સમયમાં પણ આ જ પ્રકારે નિષ્ઠાપૂર્વક કામગીરી ચાલુ રાખવાની અપેક્ષા વ્યક્ત કરી, જેથી પાટણ શહેરના વિકાસમાં તેમનો સહયોગ યથાવત રહે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 8:31 pm

ગઢડા પોલીસે અપહૃત સગીરાને શોધી કાઢી:દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ કરી, વધુ તપાસ શરૂ

ગઢડા પોલીસે અપહરણ કરાયેલી સગીરાને તાત્કાલિક શોધી કાઢી છે. સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. ગઢડા તાલુકાના એક ગામમાં એક સગીરાને લલચાવી-ફોસલાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ અંગે સગીરાના પરિવારે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ BNS 87, 137 અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ગઢડા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.બી. પલાસ, પીએસઆઈ જી.જે. ગોહિલ અને તેમની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને અપહૃત સગીરાને શોધી કાઢી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 8:27 pm

ગાંધીનગરની કોલેજમાં ઉદ્યોગ સાહસિકતા કાર્યશાળાઓ યોજાઈ:વિદ્યાર્થીઓમાં સ્વરોજગારી અને નવતર અભિગમ વિકસાવાયો

ગાંધીનગર સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા અને સ્વરોજગારી પ્રત્યે પ્રેરણા જગાવવા માટે બે વિશેષ કાર્યશાળાઓનું આયોજન કરાયું હતું. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હસ્તકના નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) ની “રિસર્ચ, ઇનોવેશન એન્ડ એક્સટેન્શન ગ્રાન્ટ” યોજના અંતર્ગત કોલેજના વનસ્પતિશાસ્ત્ર વિભાગ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રથમ દિવસે, 12 માર્ચ 2026ના રોજ, “પ્રાકૃતિક ખેતી – તકો અને પડકારો” વિષય પર માર્ગદર્શન અપાયું હતું. આ સત્રમાં કૃષિ ક્ષેત્રમાં પર્યાવરણમૈત્રી અભિગમ અને તેમાં રહેલી વ્યાવસાયિક સંભાવનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. બીજા દિવસે, 13 માર્ચ 2026ના રોજ, “બાગાયત શાસ્ત્ર – કાર્યક્ષેત્ર અને સંભાવનાઓ” વિષય પર ચર્ચા થઈ. વિદ્યાર્થીઓને હોર્ટિકલ્ચરના આધુનિક ટેકનિકલ પાસાઓ અને આ ક્ષેત્રમાં ઉપલબ્ધ કારકિર્દીના અવસરો વિશે માહિતગાર કરાયા. આ બંને કાર્યશાળાઓમાં વનસ્પતિશાસ્ત્ર વિષયના 70થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન દરેક સહભાગીને ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા લિખિત “પ્રાકૃતિક કૃષિ” પુસ્તક ભેટરૂપે આપવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. ડી.પી. પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પડ્યું. કોલેજના સંશોધન વિભાગના કો-ઓર્ડિનેટર ડૉ. વાય.એમ. પટેલ, વનસ્પતિશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. એસ.કે. પટેલ તેમજ વિભાગના સ્ટાફના સંયુક્ત પ્રયાસોથી આ કાર્યશાળાઓ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી અને ફળદાયી સાબિત થઈ.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 8:25 pm

દોઢ લાખના મુદ્દામાલ સાથે ડ્રગ્સ પેડલર ઝડપાયો.:​જૂનાગઢમાં મેડિકલ કોલેજ પાસે SOGનો સપાટો: 1.822 કિલો ગાંજા સાથે સમીર ઉર્ફે છોટું પઠાણની ધરપકડ, સેમસંગ S-25 અલ્ટ્રા મોબાઈલ સહિત 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત.

​જૂનાગઢ જિલ્લામાં યુવાધન નશાના ખપ્પરમાં હોમાય તે પહેલા જ એસ.ઓ.જી. પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. અગાઉ પણ પોલીસે કરોડો રૂપિયાનો નશા યુક્ત પદાર્થ ઝડપી પાડ્યો હતો, ત્યારે ફરી એકવાર પોલીસની સતર્કતાને કારણે નશીલા પદાર્થોનું વેચાણ કરતું નેટવર્ક ઝડપાયું છે. શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને સેવનની બદીને જડમૂળથી ઉખેડી નાખવા માટે આદરેલી ઝુંબેશમાં પોલીસને આ મહત્વની કડી મળી છે. જુનાગઢ એસ.ઓ.જી. ટીમે બાતમીના આધારે મજેવડી દરવાજા પાસે વોચ ગોઠવી આ ઓપરેશન પાર પાડ્યું હતું. ​એસ.ઓ.જી.ના એએસઆઈ જીતેન્દ્રસિંહ ચૌહાણને ચોક્કસ બાતમી મળી હતી કે જમાલવાડી વિસ્તારનો સમીર ઉર્ફે છોટું ઈકબાલભાઈ પઠાણ ગાંજાનો જથ્થો લઈ વેચાણ કરવા માટે મજેવડી દરવાજાથી ભરડાવાવ જતા રોડ પર આવવાનો છે. આ બાતમીના આધારે પીઆઈ આર.કે. પરમાર અને તેમની ટીમે હૈદલશાપીરની દરગાહ સામેના ગ્રાઉન્ડમાં છટકું ગોઠવ્યું હતું. રાત્રિના આઠેક વાગ્યાના સુમારે જ્યારે આરોપી મેડિકલ કોલેજ તરફથી શંકાસ્પદ થેલી સાથે આવતો જણાયો, ત્યારે પોલીસે તેને કોર્ડન કરી તલાશી લીધી હતી. જેમાં તેની પાસેથી 91,100 રૂપિયાની કિંમતનો 1.822 કિલોગ્રામ વનસ્પતિજન્ય નશીલો પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. ​પોલીસે આરોપી સમીર પઠાણની ધરપકડ કરી તેની પાસેથી ગાંજા ઉપરાંત 50,000 રૂપિયાની કિંમતનો સેમસંગ કંપનીનો એસ-25 અલ્ટ્રા એન્ડ્રોઈડ ફોન પણ જપ્ત કર્યો છે. આમ, કુલ 1,41,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગુનામાં અન્ય બે શખ્સો પણ સંડોવાયેલા છે. જેમાં 'ભુરા' નામનો શખ્સ અને તેની સાથે સ્વિફ્ટ કારમાં આવેલો એક અજાણ્યો માણસ હજુ પોલીસ પકડથી દૂર છે. આ ત્રણેય વિરુદ્ધ જૂનાગઢ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પકડાયેલ આરોપી સમીર અગાઉ પણ નશીલા પદાર્થોના વેચાણના ગુનામાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું છે. ​જૂનાગઢમાં ડ્રગ્સના દૂષણને રોકવા માટે પીએસઆઈ ડી.કે. સરવૈયા સહિતના સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી છે. જિલ્લા પોલીસ દ્વારા આ તકે તમામ યુવાનો અને વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ આવા જીવલેણ નશીલા પદાર્થોથી દૂર રહે અને સમાજને ડ્રગ્સ મુક્ત બનાવવામાં સહયોગ આપે. પકડાયેલ આરોપી હવે જેલના સળિયા ગણશે અને બાકીના ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 8:24 pm

ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી વાહનોની ચોરી કરનાર ગેંગ ઝડપાઈ:બનાસકાંઠા LCBએ વાહન ચોરીના 17 ગુના ઉકેલ્યા, 10 બાઇક અને બોલેરો કાર જપ્ત

બનાસકાંઠા LCBએ વાહન ચોરીના 17 અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાંથી ચોરી થયેલી 10 મોટરસાયકલ અને એક બોલેરો કાર સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત 4.13 લાખ રૂપિયા આંકવામાં આવી છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષીતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી. આ માટે અલગ-અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. LCB, પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના વડપણ હેઠળ LCB અને ટેકનિકલ વિભાગની ત્રણ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ હ્યુમન સોર્સ, ટેકનિકલ લીડ, નેત્રમ ટીમ દ્વારા મળેલી માહિતી અને 100થી વધુ CCTV ફૂટેજની તપાસ કરી હતી. તપાસ દરમિયાન, પોલીસે નરેશ ઉર્ફ નરશા દિતારામ ખેર (રહે. મહુડી, તા. કોટડા, જિ. ઉદેપુર, રાજસ્થાન), કિરણસિંહ દિનેશસિંહ વાઘેલા (રહે. ખીમાણા, તા. શિહોરી, જિ. બનાસકાંઠા) અને મોતી ગણેશભાઈ રબારી (રહે. ભવાનગઢ, તા. દાંતા, જિ. બનાસકાંઠા)ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 2.13 લાખ રૂપિયાની 10 મોટરસાયકલ અને 2 લાખ રૂપિયાની એક બોલેરો ફોર વ્હીલ ગાડી મળી કુલ 4.13 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપીઓની ગુના આચરવાની પદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) મુજબ, તેઓ હેન્ડલ લોક વગરના વાહનોને નિશાન બનાવતા હતા. તેઓ ડુપ્લીકેટ ચાવીઓનો ઉપયોગ કરીને પાર્ક કરેલા વાહનોના લોક ખોલીને ચોરી કરતા હતા અને પછી ચોરાયેલા વાહનોને તેમના રહેણાંક વિસ્તારોમાં લઈ જતા હતા. આ ગુનામાં સંડોવાયેલ અંપિલાલ લખમાજી (રહે. ભિયાતા, તા. કોટડા, જિ. ઉદેપુર, રાજસ્થાન) હજુ ફરાર છે અને તેને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 8:24 pm

'શિક્ષણ મોડેલ'નો પ્રચાર કરનારા AAP પર આડકતરી રીતે સંઘવીનો પ્રહાર:'લોકો શિક્ષણ સમિતિનો ખર્ચ બીજા રાજ્યોમાં એડવર્ટાઈઝમેન્ટ માટે વાપરે છે, જ્યારે અમે બાળકોના ભવિષ્ય માટે કરીએ છીએ'

સુરતના ઉમરા ગામ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રાથમિક શાળા ક્રમાંક-3નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હર્ષ સંઘવીએ શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. ડિજિટલ બોર્ડ, સ્માર્ટ ક્લાસરૂમ અને આધુનિક સુવિધાઓથી સજ્જ આ શાળા જોઈને તેઓ પ્રભાવિત થયા હતા. જોકે, આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે ત્યારે આ મંચ પરથી તેમણે રાજકીય નિશાન સાધવાનું પણ ચૂક્યું નહોતું. તેમણે શિક્ષણના મોડેલની વાતો કરનારા AAP પર આડકતરી રીતે આકરા પ્રહારો કર્યા હતાં. હર્ષ સંઘવીએ 'શિક્ષણ મોડેલ'નો પ્રચાર કરનારાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કેટલાક લોકો શિક્ષણની મોટી-મોટી વાતો કરે છે, પરંતુ હકીકતમાં તેઓ શિક્ષણના બજેટનો ઉપયોગ બીજા રાજ્યોમાં પોતાની તસવીરો સાથેની જાહેરાતો આપવામાં કરે છે. ભૂતકાળમાં જે પક્ષ પર શિક્ષણના નામે વિજ્ઞાપનો પાછળ કરોડો રૂપિયા ખર્ચવાના આક્ષેપો થયા છે, તેમને આડેહાથ લેતા સંઘવીએ કહ્યું કે, અમારો અભિગમ પ્રચારનો નહીં પણ પરિણામનો છે. 'શિક્ષણ સમિતિનો ખર્ચ બીજા રાજ્યોમાં એડવર્ટાઈઝમેન્ટ માટે વાપરે છે'નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આખા દેશમાં શિક્ષણની વાતો કરવાવાળા લોકો શિક્ષણ સમિતિનો ખર્ચ બીજા રાજ્યોમાં એડવર્ટાઈઝમેન્ટ માટે વાપરે છે. જ્યારે અમે એ જ ખર્ચ બાળકોના ભવિષ્ય માટે કરીએ છીએ. તેમણે ઉમેર્યું કે, ભાજપ શાસિત મહાનગરપાલિકા એ સુનિશ્ચિત કરે છે કે ટેક્સના પૈસાનો એક-એક રૂપિયો વિદ્યાર્થીઓના સ્પોર્ટ્સવેર, પૌષ્ટિક ભોજન અને અત્યાધુનિક સુવિધાઓ પાછળ ખર્ચાય, નહીં કે નેતાઓના ફોટા ચમકાવવા પાછળ. સ્પોર્ટ્સવેર અને શૂઝ આપતું દેશનું એકમાત્ર શહેરસુરતની શિક્ષણ સમિતિની કામગીરીના વખાણ કરતા હર્ષ સંઘવીએ ગર્વભેર જણાવ્યું હતું કે, આખા દેશમાં આપણું શહેર કદાચ એકમાત્ર એવું છે જ્યાં સરકારી શાળાના બાળકોને માત્ર ડ્રેસ જ નહીં, પણ પીટી અને રમતગમત માટે સ્પેશિયલ સ્પોર્ટ્સવેર અને સ્પોર્ટ્સ શૂઝ પણ આપવામાં આવે છે. આ વ્યવસ્થા પાછળનો હેતુ એ છે કે ગરીબ કે મધ્યમ વર્ગના બાળકને ખાનગી શાળા જેવો જ અનુભવ મળે અને તેનામાં લઘુતાગ્રંથિ ન આવે. વાલીઓ પર આર્થિક બોજ ઘટાડવા પર ભારશિક્ષણના વ્યાપારીકરણ અને મોંઘી સ્ટેશનરીના જમાનામાં સરકારની ભૂમિકા સ્પષ્ટ કરતા તેમણે કહ્યું કે, બાળકના માતા-પિતાને શિક્ષણનો કોઈ વધારાનો આર્થિક બોજ ન વેઠવો પડે તેની તકેદારી અમે રાખીએ છીએ. સ્કૂલ બેગથી લઈને સ્ટેશનરી અને પુસ્તકો સુધીની તમામ વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. જ્યારે અન્ય લોકો માત્ર 'ફ્રી' ની વાતો કરે છે, ત્યારે અમે ગ્રાઉન્ડ લેવલ પર સુવિધાઓ ઉભી કરીને વાલીઓનો વિશ્વાસ જીત્યો છે. ડિજિટલ શિક્ષણ અને પૌષ્ટિક આહારની જુગલબંદીઉમરાની આ નવી શાળામાં ડિજિટલ બોર્ડની વ્યવસ્થા અંગે વાત કરતા સંઘવીએ જણાવ્યું કે, ટેકનોલોજી હવે માત્ર ખાનગી શાળાઓની જાગીર નથી રહી. સરકારી શાળાના બાળકો પણ હવે ડિજિટલ માધ્યમથી ભણી રહ્યા છે. આ સાથે જ મધ્યાહ્ન ભોજન દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર મળે તેવી વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય બંનેના સંગમથી જ એક સક્ષમ નાગરિક તૈયાર થઈ શકે છે તેવો મત તેમણે વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 8:21 pm

સાબરકાંઠા SOGએ કાંકરોલ પાસેથી ચાર ઝડપ્યા:MD, ચરસ, અફીણ અને 7 લાખનો મુદ્દામાલ જપ્ત

સાબરકાંઠા SOGએ હિંમતનગરના કાંકરોલ પાસે નેશનલ હાઈવે પરથી માદક પદાર્થો સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે MD, ચરસ અને અફીણ સહિત કુલ રૂ. 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા SOGના PI ડી.સી.પરમારના જણાવ્યા અનુસાર, PSI કે.યુ.ચૌધરી, પી.એમ.ઝાલા અને SOG સ્ટાફ નાર્કોટિક્સ સેલની વોચમાં હતા. તે દરમિયાન સ્ટાફના અતુલસિંહને બાતમી મળી હતી કે, હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાંથી રાત્રે એક ઇકો ગાડી (રજી. નં-GJ 09BD 1868) માં ચાર ઇસમો માદક પદાર્થ લઈને શામળાજી તરફ જવાના છે. આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક હિંમતનગર-શામળાજી હાઈવે પર, સ્વામિનારાયણ મંદિરના પૂર્વ દિશાના કોટની સામે સરકારી પંચોની રૂબરૂમાં વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, ઇકો ગાડીમાંથી ચાર શખ્સો પાસેથી 55 ગ્રામ મેફેડ્રોન (MD) જેની કિંમત રૂ. 1,65,000, 113 ગ્રામ અફીણ જેની કિંમત રૂ. 56,500, અને 39 ગ્રામ ચરસ જેની કિંમત રૂ. 48,750 મળી આવ્યા હતા. આમ, કુલ રૂ. 2,70,250 ના માદક પદાર્થો અને ઇકો ગાડી સહિત કુલ રૂ. 7,06,950 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરાર એક સહિત પાંચ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં રતનલાલ કિશનલાલ સુથાર (રહે. સુભાષનગર સોસાયટી, હિંમતનગર, મૂળ રહે. બાનીના, ચિત્તોડગઢ, રાજસ્થાન), નારાયણલાલ બદરીલાલ જાટ (રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી, હિંમતનગર, મૂળ રહે. પોટલા, ભીલવાડા, રાજસ્થાન), મુરલીધર જલધરભાઇ પટેલ (રહે. રૂષિનગર, હિંમતનગર, મૂળ રહે. સીરીપુર, ભાગલપુર, બિહાર) અને નરપતસિંહ ભવરસિંહ રાજપુરોહિત (રહે. રાજેન્દ્રનગર, હિંમતનગર, મૂળ રહે. ક્ષત્રિયો કા મોરચા, બાલોતરા, રાજસ્થાન) નો સમાવેશ થાય છે. આ કેસમાં ગોરર્ધન નામનો એક આરોપી ફરાર છે, જેને પકડવા માટે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 8:19 pm

પતિ અને તેના મિત્રએ ગાળો ભાંડી:'તું મારી દીકરીને મૂકીને ચાલી ગઈ છો, મને તેના ડોક્યુમેન્ટ જોઈએ છે, તને જીવવા નહીં દવ' કહીં માવતરે રહેતી શિક્ષિકાને ધમકી આપી

રાજકોટ શહેરમાં રહેતા મહિલા શિક્ષિકા ગઈકાલે તેના સાર્થી કર્મીઓ સાથે નોકરીએથી કારમાં પરત રાજકોટ આવી રહ્યા હતા ત્યારે જામનગર રોડ પર નવી કોર્ટ પાસે પતિએ તેના મિત્ર સાથે આવી શિક્ષિકાને કારમાંથી હાથ પકડી નીચે ઉતારી ગાળો ભાંડી મારી દિકરીના ડોકયુમેન્ટ આપી દે કહી ધમકી આપી હોવાથી સહકર્મીઓ વચ્ચે પડી 112માં ફોન કરતા પતિ અને તેનો મિત્ર ફરાર થઈ ગયા હતા હાલ યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેરની નિવેદીતા સોસાયટીમાં માવતરે રહેતા અને નેકનામ ગામે આવેલી તાલુકા શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા ભુમીકાબેન પટેલે યુનિવર્સિટી પોલીસમાં થાનગઢ રહેતા પતિ ક્રોમીક કિશોર પટેલ સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી દંપતિ વચ્ચેના અણબનાવને કારણે તેના પિતાના ઘરે રહે છે. ગઈકાલે સાંજે તે તેના સહકર્મચારીઓ સાથે કારમાં નોકરીએથી પરત રાજકોટ આવી ત્યારે બ્રહ્મનાદ સોસાયટી મેઈન રોડ નવી કોર્ટ પાસે જામનગર રોડ પર તેમની ગાડી પાસે પતિ અને તેનો મિત્ર પ્રદિપ રબારીએ ગાડી ઉભી રાખી પતિએ હાથ પકડીને કહ્યું કે 'તું ગાડીમાંથી નીચે ઉતર મારે વાત કરવી છે' કહી ગાળો આપી 'હું તને જીવવા નહીં દવ, તુ જોઈ લેજે' કહી ધમકી આપી હતી. આ પછી તું મારી દિકરીને મુકીને જતી રહી છો મારી દિકરીના ડોકયુમેન્ટની ફાઈલ મને આપ કહેતા બોલાચાલી થતા સાથી કર્મીઓ વચ્ચે પડી 112માં ફોન કરતા જ પતિ અને તેનો મિત્ર નાશી છુટયા હતા હાલ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 8:02 pm

Editor’s View: પેટ્રોલ-ડીઝલની પારાયણ:ક્રૂડ ઓઈલ રોકીને દુનિયા ઠપ કરી દેવાનો ઈરાનનો ગેમપ્લાન; ભારતમાં વાહનોનાં પૈડાં થંભી જશે કે દોડતાં રહેશે?

યુદ્ધ ખતમ ક્યારે થશે તે નક્કી નથી. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો ક્યારે ખોલશે તે નક્કી નથી. અમેરિકા અને ઈરાન બંને વટે ચડ્યા છે. પેટ્રોલ-ડીઝલ જેમાંથી બને છે તે ક્રૂડ ઓઈલ મિડલ ઈસ્ટમાંથી ભારત આવતું હતું, પણ હમણાં તે બંધ છે. ભારતે ક્રૂડ ઓઈલ માટે બીજા ઓપ્શન ચાલુ કરી દીધા છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ સંસદમાં જ કહી દીધું કે ભારતની જરૂરિયાતનું 45% ક્રૂડ ઓઈલ હોર્મુઝ સ્ટ્રેટથી આવતું હતું તે બંધ છે. હવે ભારત બીજા દરિયાઈ રસ્તેથી ઓઈલ મગાવવા લાગ્યું છે. તે 70% જેટલું આવે છે. મતલબ 100% ઓઈલ ભારતને મળતું નથી. સરકાર ગમે તેટલી ધરપત આપે, મનના એક ખૂણે ભય તો રહે જ કે આજે નહિ તો કાલે, પેટ્રોલ-ડીઝલની અછત થશે તો? કુદરતની ભેટ ક્રૂડ ઓઈલના સંશોધનથી લઈ દુનિયામાં અત્યારે શું સ્થિતિ છે, આજે ક્રૂડ ઓઈલનું A to Z એનાલિસિસ કરીએ... નમસ્કાર, કમ સે કમ થોડા દિવસ તો ભારતમાં ચિંતા નથી કે પેટ્રોલ-ડીઝલ ખતમ થઈ જશે. ભારત માટે ક્રૂડ ઓઈલની અત્યારે એટલી ચિંતા નથી. કારણ કે રશિયન ઓઈલના લાખો બેરલ શિપમાં ભારત આસપાસ દરિયામાં હાજર છે. તેમાં દોઢ કરોડ બેરલ છે. બીજા 70 લાખ બેરલ સિંગાપોર નજીક છે જે એક અઠવાડિયામાં ભારત પહોંચશે. ભારત પાસે પોતાનું રિઝર્વ ઓઈલ છે. તકલીફ ત્યારે ઊભી થશે જ્યારે યુદ્ધ લાંબુ ચાલશે. ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેનીના નામથી ઈરાની મીડિયાએ કહી દીધું કે, હમણાં હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખુલે. આમ તો ઈરાનનો પ્લાન યુદ્ધ વધારવા કરતાં દુનિયાને આર્થિક નુકસાન પહોંચાડવાનો છે એટલે મિડલ ઈસ્ટના દેશોમાં હુમલા કરે છે. ઓઈલ પ્રોડક્શન અને એક્સપોર્ટ અટકાવી દીધાં છે. ઈરાન ક્રૂડ ઓઈલના ભાવ વધારીને અમેરિકાને દઝાડવા માગે છે. ઈરાન ચેતવણી આપી ચૂક્યું છે કે ક્રૂડ ઓઈલના ભાવ એક બેરલના 200 ડોલર થઈ જશે. ઈરાન અમેરિકાને પાઠ ભણાવવાના મૂડમાં છે પણ આ બે બળિયા વચ્ચે દુનિયા પિસાઈ રહી છે. પેટ્રોલિયમ મંત્રીએ સંસદમાં શું કહ્યું? ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સંસદમાં માહિતી આપી કે ભારત હાલમાં જે ક્રૂડ ઓઇલ સપ્લાય મેળવી રહ્યું છે તે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આવતા ક્રૂડ ઓઇલ કરતાં પણ વધારે છે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. યુદ્ધ પહેલાં ભારતની જરૂરિયાતનું 45% ક્રૂડ હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવતું હતું. રિફાઇનરીઓ હાલમાં હાઈકેપેસિટી યુટિલાઈઝેશન પર કામ કરે છે. દેશમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અને ATF (એવિએશન ટર્બાઈન ફ્યૂલ)ની કોઈ અછત નથી. નોન-હોર્મુઝ રૂટથી ક્રૂડ ઓઈલની આયાત યુદ્ધ પહેલાં 55% હતી. જે હવે 70% થઈ રહી છે. 2007 સુધી ભારત 27 દેશો પાસેથી ઓઈલ ખરીદતું હતું. હવે 40 દેશો પાસેથી ઓઈલ ખરીદે છે. ભારતમાં સ્થિતિ શું છે? ભારત 40 દેશોમાંથી ઓઈલ આયાત કરે છે. જેમાં અમેરિકા પણ સામેલ છે. આ સિવાય ટેન્ક ફોર્મ હોય છે જે રિફાઈનરીઓમાં હોય છે, કોમર્શિયલ હોય છે. આ બધાની ગણતરી કરો તો ભારત પાસે 50 દિવસનું ઓઈલ રિઝર્વ છે. પણ બધી ટેન્કો સંપૂર્ણ ખાલી ન કરી શકીએ તો એ હિસાબે 40 દિવસનું જ ઓઈલ છે. બારત પાસે વિશાખાપટ્ટનમ, મેંગ્લોર અને પાદુરમાં રિઝર્વ ઓઈલનો જથ્થો છે. અમેરિકાએ પ્રતિબંધો મૂક્યા છતાં દુનિયા ઈરાન પાસેથી ઓઈલ કેમ ખરીદે છે? દુનિયાનો શક્તિશાળી દેશ અમેરિકા વર્ષોથી એ પ્રયાસો કરે છે કે દુનિયાનો કોઈપણ દેશ ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ન ખરીદે. આના માટે અમેરિકાએ કેટલાક પ્રતિબંધો પણ લગાવ્યા છે. સવાલ એ છે કે અમેરિકાના પ્રતિબંધો છતાં દુનિયાભરમાં ઈરાનના ઓઈલની ભારે ડિમાન્ડ કેમ છે? ઈરાનના ક્રૂડ ઓઈલમાં એવી તે શું ખાસ બાબત છે કે દુનિયા એ ખરીદવા તલપાપડ હોય છે. ઈરાન રોજના લગભગ 35 લાખ બેરલ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરે છે. પશ્ચિમી દેશોના અનેક પ્રતિબંધો છતાં ઈરાનના ઓઈલની ડિમાન્ડ છે. આની પાછળ કોઈ રાજનીતિ નથી પણ ઈરાનના ક્રૂડ ઓઈલની ક્વોલિટી છે. ઈરાન બે પ્રકારના ક્રૂડ ઓઈલ વેચે છે. ઈરાનનું ક્રૂડ ઓઈલ માત્ર ક્વોલિટીમાં જ નહીં. કિંમતમાં પણ આગળ છે. બ્રેન્ટ ક્રૂડ નામનું ઓઈલ પ્રિમિયમ ઓઈલ માર્કેટમાં મળે છે. તેની તુલનામાં 3થી 9 ડોલરના મોટા ડિસ્કાઉન્ટ સાથે ઈરાની ઓઈલ મળે છે. ઈરાનને એક બેરલ જમીનમાંથી ઓઈલ કાઢવામાં માત્ર 10 ડોલરનો ખર્ચ થાય છે. ઓછી કિંમતે વેચવા છતાં ઈરાનને બહુ તગડો ફાયદો થાય છે. જે દેશ ઈરાન પાસેથી ઓઈલ ખરીદે છે તેની તો ચાંદી જ ચાંદી છે. અમેરિકાની નજર ચૂકવીને ચીન ઈરાન પાસેથી ઓઈલ ખરીદે છે કોઈ દેશ ઈરાન પાસેથી ઢગલાબંધ ઓઈલ ખરીદે તે અમેરિકાને પસંદ નથી. પણ અમેરિકાનું માથું ભાંગે એવો દેશ ચીન છે. ચીન વર્ષોથી ઈરાન પાસેથી ઢગલાબંધ ઓઈલ ખરીદે છે. અલબત્ત, ઈરાનના ક્રૂડ ઓઈલનો સૌથી મોટો ખરીદાર દેશ જ ચીન છે. 2024માં ઈરાને ઓઈલમાંથી જે કમાણી કરી તેના 90 ટકા રકમ એકલા ચીનમાંથી આવી. ચીને લગભગ 3200 કરોડ રૂપિયાનું ઈરાની ઓઈલ ખરીદ્યું. ચીનના શીડોંગ પ્રાંતમાં ટીપોટ નામની નાની રિફાઈનરી છે. જે માત્ર ભારે ઓઈલ જ મગાવે છે. આ ઓઈલ અમેરિકાની નજરમાંથી બચીને ચીન પહોંચે છે કેવી રીતે? આના માટે શેડો ફ્લિટ કામ કરે છે. ફ્લિટ એટલે માલવાહક જહાજ. સમુદ્રની વચ્ચોવચ્ચ ઓઈલ લઈ જતા શિપના ઝંડા બદલી નખાય છે. એટલે ઝંડા જોઈને અમેરિકાની એજન્સીઓ માની બેસે છે કે આ કોઈ બીજા દેશની શિપ છે. ત્યારે ચીનનો ઝંડો ઉતારી લેવામાં આવે છે. પેમેન્ટ પણ સિક્રેટ નેટવર્ક મારફત ઈરાન પહોંચે છે. રિફાઈનરી ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ ગઈ છે કે ભારે ઓઈલને હળવું કરવું સહેલું અને ફાયદાકારક બની ગયું છે. જે ચીન સહેલાઈથી કરી જાણે છે. આગળ રિઝર્વ ઓઈલના ગણિતની વાત કરીશું, પણ દુનિયામાં સૌથી વધારે રિઝર્વ ઓઈલ ચીન પાસે જ છે. દુનિયામાં ક્રૂડ ઓઈલનો ઉપયોગ કરવામાં ભારત ત્રીજા નંબરે આજે દુનિયાભરમાં રોજનું 15 અબજ લીટર ક્રૂડ ઓઈલ કાઢવામાં આવે છે. જ્યાં સુધી પ્લાન્કટન રહેશે ત્યાં સુધી પેટ્રોલિયમ માટેના જરૂરી તત્વો મળી રહેશે. તેને બનવામાં લાખો વર્ષોનો સમય લાગે છે. શું ક્રૂડ ઓઈલમાંથી પેટ્રોલ, ડીઝલ કે કેરોસીન જ બને છે? ના. ક્રૂડ ઓઈલ આપણી આસપાસની દરેક પ્રોડક્ટમાં મોજૂદ છે. મીણ, લુબ્રીકેન્ટ, સિલિકોન, રસ્તા બનાવવા ડામર, પ્લાસ્ટિક, કેટલાક કપડાં બનાવવા ઓઈલનો ઉપયોગ થાય છે. આનાથી જ સ્કૂટરથી લઈ વિમાન સુધીના વાહનો ચાલી શકે છે. જે દેશ કાચા ઓઈલનું ઉત્પાદન કરે છે તે સૌથી અમીર દેશ બની જાય છે. કારણ કે ઈકોનોમીને તાકાત આપનારું મહત્વનું પરિબળ ક્રૂડ ઓઈલ છે. ઓઈલનો ઉપયોગ તાકાતના હથિયાર માટે થતો આવ્યો છે અને તેના માટે યુદ્ધો પણ થયા છે. 1973માં ઈઝરાયલ અને અરબ દેશો વચ્ચે 3 અઠવાડિયાં સુધી યુદ્ધ થયું. તેને યોમ કી પુર યુદ્ધ કહે છે. એ સમયના ઓઈલ પ્રોડક્શન સંગઠન ઓપેકે (POEC) એ દેશોને ઓઈલ વેંચવા પર રોક લગાવી દીધી, જે ઈઝરાયલનું સમર્થન કરતા હતા. એના કારણે ઓઈલમાં 300 ટકાનો ભાવ વધારો થઈ ગયો ને દુનિયામાં મંદીનો માહોલ આવી ગયો. દુનિયામાં જેટલું ઓઈલ ઉત્પાદન થાય છે તેના 20 ટકા સૌથી વધારે અમેરિકા ઉપયોગ કરે છે. એ પછી 13 ટકા સાથે ચીન અને 4.5 ટકા સાથે ત્રીજા નંબરે ભારત ઓઈલનો સૌથી વધુ ઉપયોગ કરનારો દેશ છે. જમીનમાં કેવી રીતે તૈયાર થાય છે ક્રૂડ ઓઈલ... ક્રૂડ ઓઈલ એકદમ બારીક સમુદ્રી જીવો અને છોડમાંથી બને છે. જેને પ્લન્કટન (plankton) કહે છે. આજે જે પેટ્રોલિયમ જમીનમાંથી કાઢીએ છીએ તે આ જ નાનાં જીવોમાંથી લાખો વર્ષની પ્રક્રિયા પછી બને છે. જેમ પ્લન્કટન મરે છે તેમ તે સમુદ્રનાં તળિયે પહોંચી જાય છે. કારણ કે બહુ ઊંડાઈએ ઓક્સિજન હોતો નથી એટલે તે છૂટા પડવાના બદલે તળિયાંની માટી અને રેતી જેવા કાંપમાં ભળી જાય છે. આ પ્લન્કટન સમુદ્રના કણો સાથે ભળે છે એટલે ગાઢ અને ચીકણાં બની જાય છે. અહીંથી જ શરૂ થાય છે પેટ્રોલિયમ તૈયાર થવાની પ્રક્રિયા. 10 હજારથી લઈ 10 લાખ વર્ષ દરમિયાન કાંપનું એક પછી એક લેયર જમા થતું રહે છે. તે લેયર સેંકડો મીટર ઊંચું થઈ જાય છે. આના કારણે સૌથી નીચેના જે લેયર છે તેનું વજન પણ વધે છે અને તાપમાન વધવા લાગે છે. જ્યારે નીચેનું તાપમાન 80 ડિગ્રી થાય છે ત્યારે તળિયાનું મોટું પડ તૂટીને ધીમે ધીમે નાના ટુકડાઓમાં વહેંચાવા લાગે છે. તેને ક્રેકિંગ કહે છે. તે તૂટેલા ભાગો બારીક બનીને લચીલા થઈ જાય છે અને કાળા, જાડા, ચીકણાં પ્રવાહીમાં બદલાઈ જાય છે. આ જ છે ક્રૂડ ઓઈલ. વધારે દબાણના કારણે ઓઈલ આ તૂટેલા પડમાંથી ઉપર તરફ આવવા લાગે છે પણ તે સપાટી પર નથી આવતું. જમીનની અંદર માટીની સપાટીએ ચોંટી જાય છે. આ રીતે થઈ ક્રૂડ ઓઈલની શોધ... વર્ષ હતું 1858નું. અમેરિકાના પેન્સિલવેનિયાની ડાર્ટમાઉથ કોલેજના પ્રોફેસર જ્યોર્જ બિસેલને ખબર પડી કે પેન્સિલવેનિયાના કેટલાક ગામડાંમાં જમીનમાંથી તરલ-ચીકણો પદાર્થ નીકળે છે. તે સંશોધન માટે ગયા. તેમને જમીનમાંથી નીકળતા કાળા પરપોટા દેખાયા. તેમણે આ તરલ પદાર્થના સેમ્પલ લીધા અને કોલેજમાં પાછા આવ્યા. તેમણે દિવસો સુધી આ ચીકણા પદાર્થનું રિસર્ચ કર્યું ને એ સાબિત કરી બતાવ્યું કે આ તરલ પદાર્થમાં બલ્બ ચાલુ કરવાની ક્ષમતા છે. બિસેલને એટલી તો ખબર પડી ગઈ કે પેન્સિલવેનિયાના આસપાસના ગામડાંમાં જમીન નીચે એવો પદાર્થ છે કે તેનાથી એનર્જી મળે તેમ છે. તેને ખાતરી થઈ ગઈ કે અહીં કૂવો ખોદવામાં આવશે તો ઓઈલ જેવો પદાર્થ નીકળશે જેનાથી લાઈટ થઈ શકશે. હવે તેને એક એવા માણસની શોધ હતી જે આ પ્રકારનું ખોદકામ કરી આપે. તેને એક માણસ મળ્યો. નામ હતું એડવિન ડ્રેક. એડવિન ડ્રેક કંડક્ટર હતા, હોટેલમાં ક્લાર્કની નોકરી કરી ચૂક્યા હતા. તે ભણેલા નહોતા પણ ગણેલા હતા. પ્રોફેસર બિસેલે તેને પોતાનો પ્લાન બતાવ્યો તો ખોદકામ કરીને ઓઈલ કાઢવા તૈયાર થઈ ગયા. એડવિન ડ્રેકે પેન્સિલવેનિયામાંથી વિલિયમ સ્મીથ નામના માણસને કામ પર રાખ્યો. રોજના અઢી ડોલર આપવાનું નક્કી થયું. તેને જમીનમાં ડ્રીલિંગનો બહોળો અનુભવ હતો. સૌથી પહેલાં ટાઈટસવિલે વિસ્તારમાં મેટલના પાઈપ મૂકીને ડ્રિલિંગ શરૂ કર્યુ. એ વખતે લોકો ડ્રેકની મશ્કરી કરતા હતા કે મહેનત રહેવા દે. જમીનની નીચે પાણી જ હોય, ઓઈલ ન હોય. વર્ષ આવ્યું 1959નું. તારીખ હતી 27 ઓગસ્ટ, શનિવાર. બપોરના સમયે ડ્રિલિંગ 80 ફૂટ થઈ ચૂક્યું હતું. ફુવારા રૂપે ઓઈલ નીકળ્યું. પહેલાંના સમયમાં તો બીજું કાંઈ હતું નહીં એટલે સાથે રાખેલા બેરલમાં તે ભરી દીધું. બેરલની આ પરંપરા આજે ય ચાલુ છે. જ્યાંથી ઓઈલ નીકળ્યું કે જમીન ટાઈટસવિલે શહેરથી 11 કિમી દૂર હતી. અહીં શહેર વસી ગયું જેને પિટહોલ સિટી કહેવાયું. પિટહોલ સિટીમાં જ્યારે ઓઈલની શોધ થઈ ત્યારે ત્યાં અનેક કિલોમીટરના વિસ્તારોમાં 50 લોકો પણ નહોતા રહેતા. પણ ઓઈલની શોધ થતાં જ પિટહોલ સિટીમાં એક જ વર્ષમાં 10 હજાર લોકો વસી ગયા. 50 હોટેલ ખુલી ગઈ. પોસ્ટ ઓફિસ બની ગઈ, બે ટેલિગ્રામ સેન્ટર ઊભા થઈ ગયા. ઓઈલના કારણે એ લોકો અમીર તો બની ગયા પણ બીજી કોઈ સુવિધા પિટહોલમાં ઊભી થઈ શકી નહીં એટલે વર્ષભરમાં જ તેની ચમક ફીકી પડી ગઈ. ઓઈલના કારણે પિટહોલની અર્થવ્યવસ્થા જોર પકડી ન શકી પણ ઓઈલ માટે માણસોની તરસ વધતી ગઈ. ક્રૂડ ઓઈલ દુનિયા માટે બની ગયું બ્લેક ગોલ્ડ બધાને ખબર પડી ગઈ હતી કે આ માત્ર ઓઈલ નથી કાળું સોનું છે. એટલે ઓઈલમાંથી અલગ અલગ પદાર્થ બનાવાની રિફાઈનરી શરૂ થઈ. પેન્સિલવેનિયા સિવાય અમેરિકામાં અલાસ્કા, ઓહાયો અને ટેક્સાસ જેવા રાજ્યોમાં મોટામોટા ઓઈલના કૂવા મળ્યા. અમેરિકા દુનિયાનો સૌથી મોટો ઓઈલ ઉત્પાદક દેશ બની ગયો. પછી તો દરેક દેશને મધલાળ પડવા લાગી કે ક્યાંક આપણી જમીનમાં તો ક્રૂડ ઓઈલ નથી ને? બધા શોધ કરવા લાગ્યા. આ બધા વચ્ચે સવાલ એ થાય કે મિડલ ઈસ્ટમાં ક્રૂડ ઓઈલ કેવી રીતે શોધાયું? હકીકતે બ્રિટીશરોનું ધ્યાન ગયું તે મિડલ ઈસ્ટના પર્શિયાની જમીનમાં ભરપૂર ઓઈલ ભંડાર છે. એ સમયનું પર્શિયા એ જ આજનું ઈરાન. પહેલા વિશ્વ યુદ્ધ પછી ક્રૂડ ઓઈલ એનર્જીનો મોટો સોર્સ બનીને ઊભરી આવ્યું. મિડલ ઈસ્ટમાં મોટાપાયે ઓઈલ છે, તે અંગ્રેજોને ખબર હતી એટલે તેણે મિડલ ઈસ્ટના દેશોમાં કંટ્રોલ જમાવ્યો. સમય જતાં પર્શિયાનું નામ ઈરાન થઈ ગયું અને અહીં ઓઈલના વધારે કૂવા ખોદાયા. 1950માં ઈરાનમાં બનેલી સરકારે ઓઈલના કૂવા પર કંટ્રોલ લઈ લીધો. મિડલ ઈસ્ટમાં જો કોઈ દેશની જમીનની નીચે સૌથી વધારે ક્રૂડ ઓઈલ હોય તો એ સાઉદી અરેબિયા છે. 1973માં પહેલીવાર ક્રૂડ ઓઈલમાં મંદી આવી 1973માં કેટલાક અરબ દેશોએ કેટલાક સમૃદ્ધ દેશોને ઓઈલના વેચાણ પર પ્રતબિંધ લગાવી દીધો હતો. ત્યારે એક બેરલનો ભાવ 3 ડોલરથી વધીને 12 ડોલર થઈ ગયો હતો. એ પછી દુનિયાની ઈકોનોમી ધીમી પડી ગઈ. 1978, 1990 અને 2001માં ઓઈલના ભાવ વધતાં અમેરિકામાં મંદી આવી ગઈ હતી. 2008માં ક્રૂડ ઓઈલના એટલા ભાવ વધ્યા કે વિશ્વભરમાં મંદી આવી ગઈ હતી. જોકે ત્યારે ઓળિયો ઘોળિયો બેન્કો પર નાખી દેવાયો હતો. ઓઈલની દ્રષ્ટિએ ઘણા દેશોએ સારાં પગલાં લીધા. સાઉદી અરબ ધરતી પર સૌથી અમીર દેશોમાંનો એક છે, કારણ કે તેની પાસે સૌથી મોટો ઓઈલ ભંડાર છે. સાઉદીની સરકારી ઓઈલ કંપની અરામકો તો એપલ, ગુગલ કે એમેઝોન કરતાં ય મોટી છે. આ જ અરામકો કંપની પર હમણાં ઈરાને બે ડ્રોન હુમલા કર્યા હતા. ઈરાકથી લઈને ઈરાન, વેનેઝુએલાથી લઈને નાઈજિરિયા સુધીના ઓઈલ સમૃદ્ધ દેશો આ જ કારણોસર આગળ વધ્યા. ઘણા દેશોએ ઓઈલ પર એકાધિકાર કરવાની કોશિશ કરી છે. ઓઈલ હવે બેટરીની જગ્યાએ ઉપયોગમાં લેવાતું આવે છે. 1 લીટર પેટ્રોલમાં એટલી જ ઊર્જા હોય છે જેટલી 60 કિલો બેટરીમાં. અત્યાર સુધીમાં દુનિયામાં 5 વાર રિઝર્વ ઓઈલનો ઉપયોગ કરવો પડ્યો પૃથ્વી પર રોજ લગભગ 10 કરોડ બેરલ ઓઈલનો ઉપયોગ થાય છે. ધરતી પરની કુલ એનર્જીના ખપતનો 30 ટકા હિસ્સો પેટ્રોલિયમથી આવે છે. યુદ્ધ કરવા માટે પણ ઓઈલની જરૂર પડે છે. વિશ્વમાં 1973માં ઓઈલ સંકટ આવ્યું હતું. તેના 1 વર્ષ પછી 1974માં IEAની સ્થાપના થઈ. IEA એટલે ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી. તેનું હેડક્વાર્ટર ફ્રાન્સના પેરિસમાં છે. આ એજન્સી દુનિયામાં ઓઈલ સપ્લાય સારી રીતે રહે તેની ભૂમિકા નિભાવે છે. ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રીયા, બેલ્જિયમ, કેનેડા, ડેનમાર્ક, ફ્રાન્સ, જર્મની, ઈટલી, જાપાન, મેક્સિકો, ન્યૂઝીલેન્ડ અને અમેરિકા પણ IEAનું સદસ્ય છે. દરેક સદસ્ય દેશોએ તેના 90 દિવસની આયાત બરાબર ઓઈલ જમા કરવાનું હોય છે. સંકટ સમયે આ જ રિઝર્વ ઓઈલનો ઉપયોગ થાય છે. રિઝર્વ કોટામાંથી ઓઈલ રિલિઝ કરવા માટે IEA બજારની સ્થિતિનું આકલન કરે છે. આ પહેલાં પાંચવાર એવું થઈ ચૂક્યું છે કે રિઝર્વ ઓઈલનો ઉપયોગ કરવો પડ્યો. રિઝર્વ ઓઈલ આ સમયે ઉપયોગ કરવો પડ્યો IEAના સદસ્ય દેશો મળીને 120 કરોડ બેરલ સાર્વજનિક કટોકટી માટે રાખે છે. અત્યારે બ્રિટને કહ્યું છે કે તે 7 કરોડ 60 લાખ રિઝર્વ બેરલમાંથી 1 કરોડ 30 લાખ રિઝર્વ બેરલ આપશે. જર્મની અને ઈટલીએ પણ 12-12 ટકા રિઝર્વ ઓઈલ કાઢવાની વાત કરી છે. સવાલ એ છે કે જે દેશ IEAના સદસ્ય નથી તે શું કરશે? આમાં મુખ્ય ઓઈલ ઉત્પાદક મિડલ ઈસ્ટના દેશો પણ આવી જાય. તે પણ સદસ્ય નથી. જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારથી ચીને તેના ઉદ્યોગોને સૂચના આપી દીધી કે ઓઈલમાંથી ડીઝલ અને ગેસોલિન બનાવવાનું બંધ કરો. તેની નિકાસ બંધ કરો. ચીન પાસે પણ પોતાનો 100 કરોડ બેરલ ઓઈલનો મોટો ભંડાર છે. દરિયામાંથી જહાજોના જહાજો 115 દિવસ સુધી આવે ત્યારે 100 કરોડ બેરલ થાય. ભારતમાં તો સ્થિતિ સારી છે, બીજા દેશોમાં ઓઈલની કટોકટી છે ઓઈલના ભાવ વધી જતાં ઘણા દેશોમાં કટોકટી જેવી સ્થિતિ ઊભી થઈ છે. પાકિસ્તાનમાં પેટ્રોલના એક લીટરના 350 રૂપિયા થઈ ગયા છે. ત્યાં કંપનીઓએ વર્ક ફ્રોમ હોમની સૂચના આપી છે. સાઉથ કોરિયા પેટ્રોલ-ડીઝલમાં પ્રાઈઝ કેપ લાવવાની તૈયારી કરી રહ્યું છે. જાપાન ક્રૂડ ઓઈલનો રિઝર્વ જથ્થો વાપરવાની તૈયારીમાં છે. થાઈલેન્ડમાં ઓઈલના અભાવે વીજ કટોકટી ઊભી થઈ છે. લોકોને લિફ્ટના બદલે સીડીનો ઉપયોગ કરવાનો આદેશ અપાયો છે. મ્યાંમારમાં ઓઈલની એટલી તકલીફ ઊભી થઈ છે કે ત્યાં ડ્રાઈવિંગ કરવા પર જ પ્રતિબંધ મૂકી દેવાયો છે. છેલ્લે, 1960માં વેનેઝુએલાના પેટ્રોલિયમ મંત્રી જુઆન પાબ્લો અલ ફોન્ઝોએ કહ્યું હતું કે ક્રૂડ ઓઈલ એ શૌતાનનું મળમૂત્ર છે અને આપણે તેમાં ડૂબી રહ્યા છીએ. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ : યશપાલ બક્ષી)

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 8:02 pm

'અસારવાને બીજું પીરાણા બનતું અટકાવો, રેલ્વે-સ્ટેશન તરફનો રસ્તો ખુલ્લો કરો':મુખ્ય રોડ પર ડમ્પિંગ સ્ટેશન બનાવાતા રસ્તો બંધ થયો, અસારવા યુથ સર્કલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવ્યો

વિશાલાથી નારોલ તરફ જતાં રસ્તામાં પિરાણા પાસે અમદાવાદ શહેરના ખડકાયેલાં કચરાના ઢગલાંઓ ધીમે ધીમે પહાડનું સ્વરુપ ધારણ કર્યું હતું. આ કચરાના ઢગલાં પાસેથી પસાર થવું શહેરીજનો માટે દુષ્કર બન્યું હતું. ત્યાં સુધી કે ત્યાંથી પસાર થનારા બહારગામના લોકો માટે પણ આ કચરાના ઢગલાં અમદાવાદની ઓળખ બની ગઇ હતી. આ કચરાના ઢગલાંના કારણે જ અમદાવાદ શહેરમાં સૌથી વધુ પ્રદિષત વિસ્તાર પણ તે કહેવાતો હતો. વારંવાર રજૂઆત અને ઉહાપોહના અંતે કચરાના ઢગલાંનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અસારવા ચકલાથી દાદા હરિની વાવ તરફ જતાં હેરિટેજ રોડ પર જ મ્યુનિ. કોર્પોરેશનની ઓફીસ પાસે જ મુખ્ય માર્ગ પર કચરાંના ઢગલાંઓ કરીને ડમ્પિંગ સ્ટેશન બનાવી દીધું હોવાનું ભાસતું હતું. જેથી જ અસારવાર યુથ સર્કલે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના મ્યુનિ. કમિશનરને ઉદ્દેશીને પત્ર લખીને અસારવાને બીજું પીરાણા બનતું અટકાવવા માટે લેખિતમાં રજૂઆત કરી છે. આ કચરાંના ઢગલાંઓ હટાવીને રેલવે સ્ટેશન તરફ જતાં રસ્તાને ખુલ્લો કરવાની માંગણી કરી છે. રોડ પર કચરાના ઢગલા, વાહનચાલકોને મુશ્કેલીઅસારવા યુથ સર્કલના પ્રમુખ સંજય પટેલે મ્યુનિસિપલ કમિશનરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, અસારવા ચકલાથી દાદા હરિની વાવ તરફ જતા હેરિટેજ રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાની ઓફિસ પાસે જ મુખ્ય રોડ પર કચરાના ઢગલા કરવામાં આવ્યા છે. જેના કારણે ત્યાંથી પસાર થતા રાહદારી તથા વાહનચાલકોને રોડ સાંકડો થઈ જવાથી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય નાગરિકો જો જાહેર રોડ પર ગંદકી કે કચરો નાખે તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો દંડ ફટકારવામાં આવે છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતે જ રોડ પર કચરો નાખી પ્રજાને અગવડમાં મૂકે છે, જે યોગ્ય નથી. મુખ્ય રોડ પર ડમ્પિંગ સ્ટેશન બનાવાતા આ રસ્તો બંધ થઈ ગયોઆ ઉપરાંત, અગાઉ નવા અસારવા ત્રણ માળીયા બ્લોક પાસેથી અસારવા રેલ્વે સ્ટેશન સુધી સીધો રસ્તો હતો, પરંતુ મુખ્ય રોડ પર ડમ્પિંગ સ્ટેશન બનાવાતા આ રસ્તો બંધ થઈ ગયો છે. બીજી તરફ, ચમનપુરા વિસ્તારમાં આવેલ રામચંદ્ર કોલોની સામે ઘીવાલી ચાલી પાસેથી પણ આશરે 50થી 60 ફૂટ પહોળો રસ્તો અસારવા રેલ્વે સ્ટેશન સુધી જતો હતો. હાલ આ રસ્તો એટલો સાંકડો થઈ ગયો છે કે ત્યાંથી માત્ર ચાલીને જ જઈ શકાય તેવી સ્થિતિ છે. આ પરિસ્થિતિના કારણે અસારવા, ચમનપુરા, શાહીબાગ અને મેઘાણીનગરના નાગરિકોને રેલ્વે સ્ટેશન નજીક હોવા છતાં ત્યાં પહોંચવા માટે રીક્ષા દ્વારા 60થી 70 રૂપિયા ખર્ચ કરવા પડે છે. ડમ્પિંગ સ્ટેશન બંધ કરી અસારવાને બીજું પીરાણા બનતું અટકાવવા માંગઆથી મ્યુનિસિપલ સત્તાવાળાઓએ અસારવામાં જાહેર રોડ પર બનાવેલ ડમ્પિંગ સ્ટેશન તાત્કાલિક બંધ કરી અસારવાને બીજું પીરાણા બનતું અટકાવવું જોઈએ. સાથે સાથે અસારવા તરફથી રેલ્વે સ્ટેશન સુધી પહોંચવા માટે થયેલા દબાણો દૂર કરી રસ્તો ફરીથી પહોળો કરીને નાગરિકોને રાહત આપવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 7:59 pm

લાલ દરવાજા વિસ્તારમાં બેફામ કારચાલકે 3થી 4 વાહનને ટક્કર મારી:એલિસબ્રિજ તરફ ભાગવા જતાં સ્થાનિક ઝડપી પાડ્યો; કેટલાક લોકોને ઈજા

અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં લકી ટી સ્ટોલ પાસે બેફામ બનેલા કાર ચાલક દ્વારા ત્રણથી ચાર વાહનોને ટક્કર મારવી હોવા અંગેનો બનાવ બન્યો છે. ચાલક ત્રણથી ચાર વાહનોને ટક્કર મારીને એલિસબ્રિજ તરફ ભાગ્યો હતો જ્યાં સ્થાનિક લોકોએ પીછો કરી અને કારચાલકને ઝડપી પાડ્યો હતો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ કારચાલક શાહપુર તરફથી પૂરપાટ ઝડપે ગાડી લઈ ને આવી રહ્યો હતો અને ત્યાંથી પણ ત્રણથી ચાર વાહનોને ટક્કર મારી લાલ દરવાજા લકી સ્ટોલ પાસે ટક્કર મારી હતી. એક એક્સેસ ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં કેટલા લોકોને ઈજા થઈ છે તે અંગે હજી માહિતી મળી નથી. ટ્રાફિક પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. એલિસબ્રિજ પાસે ચાર રસ્તા નજીક ગાડી ચાલકને સ્થાનિક લોકોએ પકડી પાડ્યો હતો અને તરત જ ટ્રાફિકના TRB જવાનો આવી ગયા હતા. સ્થાનિક લોકો અને TRB જવાનો દ્વારા આરોપીને પકડી એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યો હતો. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ….

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 7:57 pm

વડોદરામાં AI લેબનો આરંભ:એપ્રેન્ટીસશિપના અભ્યાસક્રમ થકી આગામી પેઢીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્જિનિયર્સનું નિર્માણ કરાશે, પ્રેકટીકલ AI કૌશલ્યથી સજજ કરાશે

એઆઈ પાવર ડિજિટલ એન્જિનિયરિંગ ક્ષેત્રની જાણીતી ટેક કન્સલ્ટિંગ કંપનીએ આજે વડોદરામાં અદિતિ એઆઈ લેબનો આરંભ કર્યો છે. કંપનીનો ધ્યેય એપ્રેન્ટીસશિપના અભ્યાસક્રમ દ્વારા આગામી પેઢીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્જિનિયર્સનું નિર્માણ કરવાનો છે. અદિતિ લેપ્સનું સંસ્થાગત લક્ષ્ય જ ગુજરાતમાં યુવા એન્જિનિયરિંગ પ્રતિભાઓને વ્યવહારુ પ્રેકટીકલ એઆઈ કૌશલ્યથી સજજ કરવાનો, તેમને યોગ્ય મેન્ટરશિપ પૂરી પાડવાનો છે. અને જે કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્વીકારી રહી છે તેમની સતત બદલાતી જતી જરૂરિયાતોને પૂરી કરતાં જઈને આ પ્રતિભાવને ગ્લોબલ એક્સપોઝર આપવાનો પણ છે. આજે ઔધોગિક સંસ્થાઓ પોતાની પરંપરાગત વ્યવસ્થાને આધુનિક બનાવવા કાર્યો આપમેળે થાય તે માટે અને ઇન્ટેલિજન્ટ ડિજિટલ પ્લેટફોર્મના નિર્માણ માટે સ્વીકારવાની ઝડપ વધારી રહી છે. એઆઈ ઈનોવેશનને કંપનીઓને જરૂરી હોય તેવા ઉકેલમાં ફેરવવામાં આવશે. આજે એન્જિનિયર્સની માંગ નોંધપાત્ર રીતે વધી રહી છે.અદિતિ લેબનું નિર્માણ જ વાસ્તવિક જગતના એઆઈ પડકારોને પહોંચી વળવા માટે કરાયું છે. જે અંતર્ગત વૈશ્વિક કલાયન્ટસના ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશનમાં ફાળો આપતા જઈ યુવા એન્જિનિયર્સને તૈયાર કરવાનું છે, જેથી શિક્ષણ અને ઉદ્યોગોની જરૂરિયાત વચ્ચેનો અવકાશ પૂરી શકાય. અદિતિ લેબનો એઆઈ એપ્રેન્ટીસશીપ પ્રોગ્રામનો 12 મહિનાનો કોર્સ આશાસ્પદ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સને ઉદ્યોગો માટે જરૂરી એવા એઆઈ પ્રોફેશનલમાં પરિવર્તિત કરવા માટે ઘડવામાં આવ્યો છે. આ પ્રોગ્રામમાં ભાગ લેનાર એ આઈ(AI)ને વાસ્તવિક વિશ્વની એઆઈ સિસ્ટમ્સ તૈયાર કરવાની પ્રત્યક્ષ તાલીમ મેળવશે અને તે ટેલિકોમ, ફિન્ટેક અને મેન્યુફેક્ચરિંગ જેવા સેકટરના પ્રોજેકટમાં કામ કરશે. ડેટા એન્જિનિયરિંગ અને મોડેલ ડેવલપમેન્ટથી લઈને ઓપરેશન સાથે સંકળાયેલા મોડેલ્સને કેવી રીતે વિકસાવી શકાય તેમની કુશળતા પણ વિકસાવશે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 7:56 pm

કાર ચાલકે બે મહિલાઓને કચડી નાખી, એકનું મોત, CCTV:બ્રેકના બદલે એક્સિલરેટર દબાવી દીધું, એક મહિલા પર વ્હિલ ફળી વળતાં સેકન્ડોમાં જ મોત, રાજુલા પોલીસ સ્ટેશન સામે અકસ્માત

અમરેલી જિલ્લામાં રાજુલા પોલીસ સ્ટેશનની સામે એક હચમચાવી દેતી અકસ્માતની ઘટના બની હતી. જેમાં ચાલીને જઈ રહેલી બે મહિલાઓેને કાર ચાલકે કચડી નાખી હતી. એક મહિલા પર વ્હિલ ફળી વળતાં સેકન્ડોમાં જ તેનું મોત થયું હતું. જ્યારે અન્ય મહિલાનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTVમાં પણ કેદ થઈ છે. કારની ટક્કરથી બંને મહિલાઓ હવામાં ફંગોળાઈ આ અકસ્માત અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર, બે મહિલાઓ પગપાળા જઈ રહી હતી ત્યારે એક કાર ચાલકે બેદરકારીપૂર્વક બ્રેકના બદલે એક્સિલરેટર દબાવી દેતા બન્ને મહિલાઓ કારની અડફેટે ચડી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, બંને મહિલાઓ હવામાં ફંગોળાઈ ગઈ હતી. જેમાં એક મહિલા પર કારનું વ્હિલ ફળી વળ્યું હતું. અન્ય મહિલાનો ચમત્કારિક બચાવ અકસ્માતમાં દયાબેન સુરેશભાઈ વરુ નામની મહિલાનું મોત થયું છે. અકસ્માત બાદ બંને મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરે દયાબેનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો. પોલીસે કાર ચાલકને ઝડપી પાડ્યોઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત સર્જનાર કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 7:56 pm

સોમનાથ મહાદેવનો પ્રસાદ 2 લાખ ભક્તોને ઘરે પહોંચશે:મહાશિવરાત્રી બિલ્વપૂજા કરનાર પરિવારોને ભસ્મ, રુદ્રાક્ષ, બિલ્વપત્ર મળશે

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વે શરૂ કરાયેલી ₹25 ની બિલ્વપૂજા સેવા દેશભરના ભક્તોમાં અત્યંત લોકપ્રિય બની છે. આ સેવા દ્વારા ભક્તોને વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર સાથે આધ્યાત્મિક રીતે જોડાવાનો અવસર મળે છે. આ પહેલને દેશભરમાંથી મળેલા પ્રતિસાદને કારણે અત્યાર સુધીમાં 16 લાખથી વધુ ભક્ત પરિવારોએ આ બિલ્વપૂજામાં ભાગ લીધો છે.આ પૂજામાં ભાગ લેનારા ભક્તોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને બિલ્વપત્રનો પ્રસાદ તેમના ઘરે મોકલવામાં આવે છે. મહાશિવરાત્રી-2026 દરમિયાન પૂજા નોંધાવનાર 2 લાખથી વધુ ભક્ત પરિવારોને આ પ્રસાદ મળશે.શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ભારતીય પોસ્ટ વિભાગના સહયોગથી આ પવિત્ર પ્રસાદ દેશભરના ભક્તોના ઘર સુધી પહોંચાડવાનો પ્રારંભ થયો છે. ભારતીય પોસ્ટની 1.55 લાખથી વધુ પોસ્ટ ઓફિસના વિશાળ નેટવર્ક દ્વારા આ પ્રસાદ સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવશે.આજે સોમનાથ મંદિર ખાતેથી પ્રસાદના પ્રથમ તબક્કા રૂપે લગભગ 15 હજાર કવરોનું પ્રસ્થાન કરવામાં આવ્યું. શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે આ કવરોને રવાના કર્યા હતા.પ્રભાસ પાટણ પોસ્ટ ઓફિસ ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં પોસ્ટ વિભાગના સુપરિટેન્ડન્ટે આ કવરો સ્વીકારી સેવા કાર્યની શુભ શરૂઆત કરાવી હતી. પોસ્ટ વિભાગના અધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશના વિવિધ ખૂણામાં વસતા ભક્તોને તેમનો પવિત્ર પ્રસાદ સલામત અને સમયસર પહોંચાડવામાં આવશે. આનાથી ભક્તો ઘર બેઠા સોમનાથ મહાદેવની કૃપા અને આશીર્વાદનો આધ્યાત્મિક અનુભવ કરી શકશે. આ પહેલ માત્ર ધાર્મિક સેવા નથી, પરંતુ દેશના કરોડો ભક્તોને સોમનાથ મહાદેવ સાથે જોડતી એક આધ્યાત્મિક કડી બની રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 7:43 pm

શાપર અને રાવકીમાંથી ગાંજાના જથ્થા સાથે યુવતી સહિત ત્રણ ઝડપાયા:રાજકોટમાં બહેન-બનેવીએ પુત્ર આપી દેવાનુ દબાણ કરતા પરિણીતાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો

રાજકોટ શહેર SOG પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે જ્યોતીબેન ગૌસ્વામીએ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનો જથ્થો વેચાણ અર્થે રાખ્યો છે. જે હકીકત આધારે દરોડો કરતા ભાડાના રહેણાંક મકાનમાંથી 1.98 લાખ કિંમતનો 3 કિલો 972 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેથી પોલીસે જ્યોતિબેન વસંતભાઇ પાંડુભાઇ ગૌસ્વામી (ઉ.વ.28) અને મહેન્દ્ર ભોલાભાઇ બારૈયા (ઉ.વ.27)ને ઝડપી લઇ તેની પાસેથી બે મોબાઇલ મળી કુલ રૂ.2,33,600નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મહિલા ડ્રગ પેડલર જયોતી અને મહેન્દ્ર બંને સુરતમાં રેલવે પાટા પાસેના વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો લાવ્યા હોવાનું અને જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા બુધીયો નામના શખસને ગાંજાનો જથ્થો પહોંચડવાનો હોવાનું સામે આવ્યું છે. બીજા દરોડામાં SOG ટીમે રાવકી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ સરદાર ચોકથી સાહિલ પ્લાયવુડ કારખાના તરફ જાહેર રસ્તા પરથી શાહરુખખાન મીઠ્ઠનખાન (ઉ.વ.24)ને શંકાસ્પદ હાલતમાં ઝડપી તેની ઝડપી લેતા તેની પાસેથી રૂપિયા 44,300ની કિંમતનો 906 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો અને મોબાઈલ ફોન સહિત રૂપિયા 49,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આ શખસની પુછપરછ કરતા તેને ગાંજાનો જથ્થો મૂળ યુપીના વતની અને હાલ શાપરમાં રહેતા બસીમખાન નામના શખસે અહીં ઔદ્યોગિક વિસ્તારમાં શ્રમિકોને છૂટકમાં વેચાણ કરવા માટે આપ્યો હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે બસીમખાનને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. બહેન-બનેવીએ પુત્ર આપી દેવાનુ દબાણ કરતા મહિલાએ ફિનાઇલ પી લીધુ મૂળ ગોંડલના અને હાલ રિસામણે રાજકોટમાં કરણસિંહજી હાઇસ્‍કુલ પાસે રહેતા શિતલબેન સંજયભાઇ મકવાણા (ઉ.વ.28)એ આજે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા છે. બનાવ અંગે જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે તપાસ કરતા આપઘાતનો પ્રયાસ કરનાર શિતલબેનને તેનો પતિ સંજય દારૂ પી ત્રાસ આપતો હોવાથી હાલ રિસામણે આવ્યા હોવાનું જણાવ્‍યું હતું તેમજ તેમને સંતાનમાં એક દીકરી અને એક દીકરો હોવાનું સામે આવ્યું હતું. શિતલબેને તેમના બહેન રૂપા અને બનેવી રવિ ત્રાસ આપી તેમનો દીકરો આપી દેવા દબાણ કરતા હોવાનું જણાવ્યું હતું જેનાથી કંટાળી પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવતા પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મહિલા પુત્રને મળવા ઘરેથી કહ્યા વગર નીકળી ગઈ, સ્ટેશન પર પતિને જોઇ જતાં દવા પી ગઈ મૂળ મધ્‍ય પ્રદેશનાં આરતીબેન નીરજભાઇ જયસ્‍વાલ (ઉ.વ. 35) હાલ રાજકોટની પીઠવા કંપનીમાં રહે છે. તેઓ છેલ્લા એક મહિનાથી રાજકોટ રહે છે અને તેમના પતિ નિરજભાઇ કંપનીમાં જ કામ કરે છે. આરતીબેનને સંતાનમાં 4 વર્ષનો પુત્ર છે જે હાલમાં મધ્‍ય પ્રદેશમાં આવેલ તેમના ગામે રહે છે. પુત્રની યાદ આવતા આરતીબેન ઘરેથી કોઇને કહ્યા વગર પુત્રને મળવા જઇ રહ્યા હતા દરમિયાન નીરજભાઇ પણ તેની પત્‍નીની શોધખોળ કરી રહ્યા હતા દરમિયાન આરતીબેન રેલવે સ્‍ટેશનની સામે પતિ નિરજભાઇને આવતાં જોઇ જતાં ઝેરી પાવડર પી લીધો હતો જેથી તેમને સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. ભગવતીપરામાં મહિલાને પિતરાઇ ભાઇ-બહેને ગેસની નળી મારી રાજકોટના ભગવતીપરામાં ગાંધી સ્‍મૃતિ સોસાયટીમાં રહેતા એકતાબેન રમેશભાઇ આકલવ્‍યા (ઉ.વ.36) ભગવતીપરાના પુલ પાસે શાકમાર્કેટમાં હતા ત્‍યારે પિતરાઇભાઇ જીલ અને બહેન મિતલે ગેસની નળી મારતા ઇજા પહોંચી હતી જેથી ઇજાગ્રસ્‍ત એકતાબેને પોલીસ સમક્ષ જણાવ્‍યુ હતુ કે પોતે અપરિણીત છે અને તેના દાદા સાથે રહે છે. તેણે દાદાનું ઘર ગિરવે મૂકયું હતું જેની જાણ કાકા યોગેશને થતા એ વાતનો ખાર રાખીને તેઓ અભદ્ર મેસેજ કરીને હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો આજે પોતે બેન્‍કમાં કામ અર્થે ગયા હતા ત્‍યાં પણ કાકા યોગેશ બાઇકને ઠોકર મારતા પોતે તેમની ઓફીસે વાત કરવા પહોંચી ગયા હતા જયા કાકાના દિકરા જીલ અને દીકરી મિતલે ગેસની નળી મારી ઇજા પહોંચાડી હતી બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 7:39 pm

યુદ્ધ વચ્ચે ઈરાનનો સકારાત્મક સંકેત! હોર્મુઝ ઑફ સ્ટ્રેટમાં ભારતીય શિપિંગ સુરક્ષિત અવરજવર કરી શકશે

Image Source: IANS India Iran Trade: ખાડી દેશોમાં ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે તેવામાં ઈરાને ભારતને મોટી રાહત આપી છે. દુનિયામાં ક્રૂડ ઓઇલ અને ગેસની તંગ સ્થિતિ વચ્ચે મહત્વના સમુદ્રી માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ભારતને સુરક્ષિત રસ્તો આપવાની ઈરાને તૈયારી દર્શાવી છે.

ગુજરાત સમાચાર 13 Mar 2026 7:32 pm

રાજકોટમાં પુરવઠા વિભાગના દરોડા:કૈલાશ ફરસાણ અને શ્રીહરી ફાસ્ટફૂડમાંથી 4 ઘરેલું ગેસ સિલિન્ડર જપ્ત, વેપાર-ધંધામાં કોમર્શિયલ સિલિન્ડરનો જ ઉપયોગ કરવા સૂચના

રાજકોટ શહેરમાં વ્યવસાયિક એકમોમાં ઘરેલું ગેસ સિલિન્ડરના ગેરકાયદેસર વપરાશ સામે પુરવઠા વિભાગે લાલ આંખ કરી છે. આજે જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદાર (પશ્ચિમ) અને પુરવઠા નિરીક્ષકની ટીમ દ્વારા જે.કે. ચોક અને યુનિવર્સિટી રોડ જેવા ધમધમતા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન વિવિધ હોટલો, રેસ્ટોરન્ટ્સ, ટી-સ્ટોલ અને નાસ્તા હાઉસમાં ઘરેલું સિલિન્ડરના વપરાશ બાબતે તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જે.કે. ચોક ખાતે આવેલ કૈલાશ ફરસાણ સ્ટોરમાં ઘરેલું સિલિન્ડરનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ થતો હોવાનું માલૂમ પડ્યું હતું, જેના પગલે ઇન્ડેન કંપનીના 3 ગેસ સિલિન્ડર સીઝ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, નકલંક હોટલ સામે આવેલા શ્રીહરી ફાસ્ટફૂડ સ્ટોરમાંથી પણ 1 ઘરેલું સિલિન્ડર મળી આવતા તેને જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, કુલ 4 ઘરગથ્થુ સિલિન્ડર જપ્ત કરી ગેસ એજન્સીમાં જમા કરાવવામાં આવ્યા છે. કાર્યવાહી બાદ તમામ હોટલ અને ફાસ્ટફૂડ સ્ટોરના માલિકોને નિયમોનું પાલન કરવા અને કોમર્શિયલ હેતુ માટે માત્ર વ્યવસાયિક સિલિન્ડરનો જ ઉપયોગ કરવા કડક સૂચના આપી સમજૂતી આપવામાં આવી હતી. રાજકોટમાં બપોરે 1 થી 4 વાગ્યા સુધી તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે, કાળઝાળ ગરમીને પગલે નિર્ણય રાજકોટ શહેરમાં ઉનાળાની શરૂઆતે જ તાપમાનનો પારો ઊંચકાતા નાગરિકોને હીટવેવથી બચાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ સંયુક્ત નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ઉગ્ર ગરમી પડવાની શક્યતાને જોતા હીટ વેવ એક્શન પ્લાન અંતર્ગત હવેથી શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો બપોરે 1:00 થી 4:00 વાગ્યા દરમિયાન બંધ રાખવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય વાહનચાલકોને બપોરના આકરા તડકામાં સિગ્નલ પર ઊભા રહેવામાંથી મુક્તિ અપાવવાનો અને લૂ લાગવાની ઘટનાઓ અટકાવવાનો છે. આ સમયગાળા દરમિયાન ટ્રાફિકનું સંચાલન જરૂરિયાત મુજબ પોલીસ દ્વારા કરવામાં આવશે. ગરમીના પ્રકોપ સામે રક્ષણ મેળવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાસ માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. નાગરિકોને અપીલ કરાઈ છે કે બપોરે 12 થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવું અને જો બહાર જવું અનિવાર્ય હોય તો માથું છત્રી કે રૂમાલથી ઢાંકવું. શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખવા માટે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને લીંબુ પાણી જેવા પ્રવાહી લેવા તેમજ હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા હિતાવહ છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોની વિશેષ સંભાળ રાખવી અને જો ચક્કર કે ઉલટી જેવા લક્ષણો જણાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રોનો સંપર્ક કરવા પણ આરોગ્ય અધિકારી દ્વારા જણાવાયું છે. ગેસની અછત વચ્ચે બોલબાલા ટ્રસ્ટે લાકડાના ચુલા પેટાવીને પણ સેવાની પરંપરા જાળવી રાજકોટમાં છેલ્લા 35 વર્ષથી નિ:સ્વાર્થ ભાવે કાર્યરત બોલબાલા ટ્રસ્ટ દ્વારા હાલમાં સર્જાયેલી ગેસની અછત વચ્ચે પણ માનવસેવાનું કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે. ગેસ સિલિન્ડરની તંગીને કારણે રસોઈ બનાવવામાં મુશ્કેલી પડતા ટ્રસ્ટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે લાકડાની મદદથી ચુલા ઉપર રસોઈ બનાવવા શરૂઆત કરી છે. સંસ્થા દ્વારા એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ એક પણ મનુષ્ય ભૂખ્યો ન રહે અને ત્રણ ટાઈમ રસોડું ધમધમતું રહે. આ અંગે ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, હાલમાં ગેસની અછતને કારણે દાળ, ભાત અને શાક જેવી વાનગીઓ ચુલા પર બનાવવામાં આવે છે, જ્યારે હળવો નાસ્તો, ચા અને રોટલી ગેસ પર તૈયાર થઈ રહી છે. સંસ્થા પાસે 10 કોમર્શિયલ અને 6 ઘરેલુ ગેસ રિફિલની સુવિધા હોવા છતાં પણ અછતને પહોંચી વળવા આ નિર્ણય લેવાયો છે. દરરોજ રેન બસેરા, હોસ્પિટલો અને બાંધકામ સાઈટ સહિતના વિસ્તારોમાં વાહનો મારફત 3000 થી વધુ જરૂરિયાતમંદોને શુદ્ધ અને સાત્ત્વિક ભોજન પહોંચાડવામાં આવે છે. નોંધનીય છે કે કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં પણ અન્નક્ષેત્ર અવિરત ચાલ્યું હતું. હાલમાં ગેસની અછતને કારણે અનેક હોટલ અને રેસ્ટોરન્ટ બંધ થઈ રહ્યા છે, ત્યારે બોલબાલા ટ્રસ્ટે લાકડાના ચુલા પેટાવીને પણ પોતાની સેવાની પરંપરા જાળવી રાખી છે. રાજકોટના રિંગ રોડ-2 પર રિસર્ફેસિંગ કામગીરી, વાહન ચાલકો માટે નવા ટ્રાફિક ડાયવર્ઝન જાહેર રાજકોટ શહેર વિકાસ સત્તા મંડળ હસ્તકના રિંગ રોડ-2, ફેઝ-3 (ગોંડલ રોડથી ભાવનગર રોડ) પર રિસર્ફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન અકસ્માતો નિવારવા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે અધિક જિલ્લા કલેક્ટર એન. કે. મુછાર દ્વારા કોરાટ ચોકથી કાળીપાટ ચોક સુધીના માર્ગ પર ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા ભારે અને હળવા વાહનો માટે વૈકલ્પિક માર્ગો નક્કી કરવામાં આવ્યા છે, જેથી મુસાફરોને હાલાકી ન ભોગવવી પડે.નવા જાહેરનામા મુજબ, ભારે વાહનોના ચાલકો 05 જૂન, 2026 સુધી NH-27 (કોરાટ ચોકથી આજી ડેમ ચોક) અને SH-25 રાજકોટ-ભાવનગર રોડ (આજી ડેમ ચોકથી કાળીપાટ ચોક)નો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરી શકશે. હળવા વાહનો માટે બે તબક્કામાં વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 20 માર્ચ, 2026 સુધી લાપાસરીથી વડાળી ચોકડી અને ત્યારબાદ 20 માર્ચથી 25 એપ્રિલ, 2026 સુધી વડાળીથી કાળીપાટ ચોકડીના માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આ આદેશ 09 એપ્રિલ, 2026 સુધી અમલમાં રહેશે, જોકે પોલીસ - ઈમરજન્સી સેવાના વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. રાજકોટમાં કોમર્શીયલ ગેસની અછતથી 3500 થી વધુ ફરસાણના વેપારીઓ મુશ્કેલીમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની અસરો હવે રાજકોટના સ્થાનિક બજારમાં વર્તાવા લાગી છે. દેશભરમાં કોમર્શીયલ અને ઘરેલુ ગેસના પુરવઠાની અછત સર્જાતા ઉદ્યોગો અને રેસ્ટોરન્ટ્સની હાલત કફોડી બની છે. રાજકોટમાં અંદાજે 3500 જેટલી ફરસાણની દુકાનો આવેલી છે, જેમાંથી 80 ટકા દુકાનોમાં ગેસના અભાવે તાવડા બંધ થયા છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે ફરસાણ એસો.નાં પ્રમુખ પંકજ જોબનપુત્રાની આગેવાનીમાં વેપારીઓએ કલેકટર કચેરી ખાતે દોડી જઈ જિલ્લા પુરવઠા અધિકારી ઝાપડાને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, હાલ ગેસનો પુરવઠો ખોરવાતા નાના વેપારીઓ - કારીગરો પર બેરોજગારીનું સંકટ તોળાઈ રહ્યું છે. એક તરફ સત્તાવાર પુરવઠો બંધ છે,બીજી તરફ કોમર્શીયલ અને રાંધણ ગેસના સિલિન્ડરો કાળાબજારમાં મળી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. દરવર્ષે જન્માષ્ટમી જેવા તહેવારોમાં વહીવટી તંત્રને સહયોગ આપી રાહત દરે ફરસાણ વેચતા આ વેપારીઓએ અત્યારે મુશ્કેલ સમયમાં તંત્ર પાસે વૈકલ્પિક ગેસ પુરવઠાની વ્યવસ્થા કરવાની તાતી માંગ કરી છે. માર્કેટ યાર્ડમાં શિયાળુ પાકની મબલખ આવક, ઘઉંની આવકે 1 લાખ મણની સપાટી વટાવી માર્કેટ યાર્ડમાં હાલ શિયાળુ પાકની સિઝન પૂરજોશમાં જામી છે. ખાસ કરીને હોળાષ્ટક પૂર્ણ થયા બાદ યાર્ડમાં ખેત પેદાશોની ભારે આવક જોવા મળી રહી છે, જેના કારણે યાર્ડના મેદાનમાં માલના જંગી ઢગલા ખડકાયા છે. ચાલુ સિઝનમાં પ્રથમવાર ઘઉંની આવક 1,00,000 મણની ઐતિહાસિક સપાટીને પાર કરી ગઈ છે. એક જ દિવસમાં 1.20 લાખ મણ ઘઉંની આવક નોંધાતા વેપારીઓ અને તંત્ર પણ આશ્ચર્યચકિત થઈ ગયું છે. ક્વિન્ટલના હિસાબે જોઈએ તો આશરે 25,000 ગુણી ઘઉં ઠલવાયા છે. યાર્ડમાં માલ રાખવાની જગ્યા ન રહેતા અને મગફળી જેવી સ્થિતિ સર્જાતા તંત્ર દ્વારા ઘઉંની નવી આવક પર હાલ બ્રેક મારવામાં આવી છે. હરરાજી દરમિયાન ઘઉંના ભાવ પ્રતિ મણ રૂ. 490 થી રૂ. 570 સુધી બોલાયા હતા. ઘઉં ઉપરાંત અન્ય પાકોમાં પણ સારી આવક જોવા મળી હતી. યાર્ડમાં ચણાની 31,800 મણ, મેથીની 9,700 મણ અને વટાણાની 9,800 મણની જંગી આવક નોંધાઈ હતી. આ સિવાય રાયડો 5,000 મણ, કપાસ 5,000 મણ, મગફળી 4,800 મણ અને લસણની 2,800 મણ આવક ઠલવાઈ હતી. ચારેતરફ માલની આવક વધતા યાર્ડમાં શિસ્તબદ્ધ રીતે હરરાજીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે, છતાં જગ્યાના અભાવે ખેડૂતોને નવી આવક માટે રાહ જોવી પડી શકે છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 7:27 pm

બિઝનેસ લોન કરાવી આપવાના વચન આપી ઠગાઈ:6.25 કરોડ રૂપિયાની લોન અપાવવાના બહાને વડોદરામાં વેપારી પાસેથી 12 લાખ રૂપિયાની છેતરપિંડી, ફાઇનાન્સ કંપનીના સંચાલકો સામે ફરિયાદ

વડોદરા શહેરમાં બિઝનેસ લોન અપાવવાના બહાને ન્યુ અલકાપુરી વિસ્તારમાં રહેતા વેપારી પાસેથી ફાઇનાન્સ કંપનીના સંચાલકોએ રૂપિયા 12.08 લાખ પડાવીને છેતરપિંડી આચરી છે. આ મામલે 3 આરોપી સામે અકોટા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરા શહેર નજીક સેવાસી રોડ સ્થિત ન્યૂ અલકાપુરી વિસ્તારમાં રહેતા વેપારી યશુ ભગવાનદાસ જિંદાલે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ શહેરના વાઘોડીયા રોડ વિસ્તારમાં આવેલી પોતાની “સાલાસર મેટલ્સ” નામની કંપની ચલાવે છે. નવેમ્બર 2024 દરમિયાન તેમને એક ફાઇનાન્સ કંપની તરફથી વનિતાબેન નામની મહિલાનો ફોન આવ્યો હતો. ફોનમાં કંપની દ્વારા બિઝનેસ માટે રૂ.6.25 કરોડ સુધીની લોન આપવાની વાત કરવામાં આવી હતી. આ અંગે વધુ ચર્ચા કરવા તેમને વડોદરા શહેરના જેતલપુર રોડ ઉપર આવેલા ગ્લેસિયર કોમ્પ્લેક્સમાં આવેલી કંપનીની ઓફિસે ગયા હતા. ત્યાં કંપનીના પ્રતિનિધિઓએ લોન પ્રક્રિયા, સ્થળ વેરીફિકેશન અને પ્રોસેસિંગ ફી સહિતના ખર્ચના નામે વિવિધ તબક્કામાં રૂપિયા માંગ્યા હતા. ફરિયાદી દ્વારા તા.5 ડિસેમ્બર 2024ના રોજ ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા રૂ.5 લાખ તથા તા.6 ડિસેમ્બર 2024ના રોજ રૂ.1.50 લાખ કંપનીના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કંપનીના ડાયરેક્ટર તરીકે કામ કરતા ભાવના ગજાનંદ ભટ્ટના ખાતામાં તા.27 ડિસેમ્બર 2024ના રોજ રૂ.3 લાખ અને તા.28 ડિસેમ્બર 2024ના રોજ રૂ.50 હજાર રૂપિયા દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્થળ વેરીફિકેશનના બહાને શ્રેયશ ઉર્ફે સાહીલ મીઠા નામના કર્મચારીને રૂ.2 લાખ તથા અન્ય ખર્ચના નામે રૂ.8 હજાર આપવામાં આવ્યા હતા. તેમજ કંપનીના મેનેજર જગદીશ ઉર્ફે જિગ્નેશભાઈ રમણભાઈ સોનીને રૂ.2.40 લાખ રોકડ ચૂકવવામાં આવ્યા હતા. આ રીતે ટુકડે ટુકડે અને અલગ અલગ રીતે તેમની પાસેથી કુલ રૂ.14.48 લાખ લેવામાં આવ્યા હતા. જેમાંથી બાદમાં જિગ્નેશભાઈ સોનીએ રૂ.2.40 લાખ પરત આપ્યા હતા. બાકી રહેલા રૂ.12.08 લાખ આજદિન સુધી પરત આપ્યા નહોતા અને લોન પણ મંજૂર કરાવી આપી નહોતી. આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ વડોદરા સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડીના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ સંગઠિત રીતે લોન અપાવવાના બહાને રૂપિયા પડાવ્યા હોય પોલીસે ખાનગી કંપનીના કર્મચારીઓ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 7:20 pm

ગઢડા પોલીસની પેટ્રોલ પંપ-એલપીજી ગેસ એજન્સીના સંચાલકો સાથે બેઠક:પેટ્રોલ-ગેસ સંગ્રહખોરી રોકવા ખાસ સૂચનાઓ આપી, જરૂરી માર્ગદર્શન આપ્યું

અમેરિકા-ઈઝરાઈલ અને ઈરાન વચ્ચેના તણાવપૂર્ણ માહોલને ધ્યાનમાં રાખીને ગઢડા પોલીસે સતર્કતા દાખવી છે. ગઢડા પોલીસ સ્ટેશન ખાતે શહેરના પેટ્રોલ પંપ અને એલપીજી ગેસ એજન્સીના સંચાલકો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ગઢડા પીઆઈ ડી.બી. પલાસે સંચાલકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ખાસ કરીને ખોટી અફવાઓ ન ફેલાય તેની તકેદારી રાખવા અને પેટ્રોલ-ડિઝલ તેમજ એલપીજી ગેસનો સંગ્રહ ન થાય તે માટે ધ્યાન રાખવા સૂચના આપી હતી. પીઆઈ પલાસે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો કોઈ સંગ્રહખોરી કરતો ઝડપાશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સામાન્ય લોકોને પેટ્રોલ, ડિઝલ અને એલપીજી ગેસ સરળતાથી મળી રહે તે માટે સંચાલકોને સહકાર આપવા પણ અપીલ કરી હતી. આ બેઠકમાં પીઆઈ ડી.બી. પલાસ, પીએસઆઈ જી.જે. ગોહિલ અને શહેરના વિવિધ પેટ્રોલ પંપ તેમજ ગેસ એજન્સીના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 7:18 pm

પાટડીના બિસ્માર રોડ માટે ₹9.50 કરોડ મંજૂર:નવરંગપુરા-ઉપરિયાળા-પોરડા-મોટી મજેઠી રોડનું નવીનીકરણ થશે

પાટડી તાલુકાના નવરંગપુરા-ઉપરિયાળા-પોરડા-મોટી મજેઠી રોડને રૂ. 9.50 કરોડના ખર્ચે નવીનીકરણ કરવાની મંજૂરી મળી છે. આ રોડના મેટલીંગ, ડામરકામ, પ્રોટેક્શન વોલ અને રોડ ફર્નિશીંગના કામ માટે રૂ. 950 લાખની રકમ ફાળવવામાં આવી છે. આ રોડ પાછલા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હતો, જેના કારણે નવરંગપુરા, ઉપરિયાળા, પોરડા અને મોટી મજેઠી ગામોના લોકોને તથા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ઉપરિયાળા ગામ જૈન સમાજનું એક મહત્વનું તીર્થસ્થાન હોવાથી અહીં શ્રદ્ધાળુઓની અવરજવર પણ વધુ રહે છે. બિસ્માર રસ્તાને કારણે સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આ બાબતે સ્થાનિક ધારાસભ્ય પી. કે. પરમારને પણ રાજકીય આગેવાનો દ્વારા રજૂઆતો કરાઈ હતી. ધારાસભ્ય પી. કે. પરમારની રાજ્ય સરકાર સમક્ષની રજૂઆત બાદ આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરીથી આ વિસ્તારની વર્ષો જૂની બિસ્માર રસ્તાની સમસ્યાનો સુખદ અંત આવશે અને આગામી દિવસોમાં રોડ નિર્માણનું કાર્ય શરૂ થશે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 7:17 pm

વેરાવળમાં ખાદ્ય તેલમાં ભેળસેળની ફરિયાદ:SOG અને ફૂડ વિભાગે સંયુક્ત તપાસ હાથ ધરી

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ખાદ્ય તેલમાં ભેળસેળની ફરિયાદો મળ્યા બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આજે SOG પોલીસ અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમે શહેરના સટ્ટા બજાર વિસ્તારમાં એક તેલના વેપારીને ત્યાં દરોડો પાડી તપાસ શરૂ કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચનાના આધારે આ તપાસ હાથ ધરવામાં આવી છે. ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે કડક કાર્યવાહી કરવાના હેતુથી SOG પોલીસે ફૂડ વિભાગ સાથે મળીને આ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું. હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે ભેળસેળયુક્ત દૂધ અને તેલની બનાવટો દ્વારા લોકોના સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા આ કડક પગલાં લેવામાં આવ્યા છે.નોંધનીય છે કે, થોડા દિવસો પૂર્વે તાલાલાના વાડી વિસ્તારમાં પણ SOG પોલીસે ફૂડ વિભાગ સાથે સંયુક્ત દરોડો પાડ્યો હતો. તે સમયે આશરે ૧૬,૦૦૦ કિલોગ્રામ શંકાસ્પદ કેરીનો રસ મળી આવ્યો હતો, જે બે વર્ષ જૂનો હોવાનું અને લગ્નની સિઝનમાં વેચવા માટેનો હોવાનું બહાર આવ્યું હતું. આ કાર્યવાહી પણ ભેળસેળ અટકાવવાના વ્યાપક અભિયાનનો એક હિસ્સો હતી.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 7:16 pm

AC કેબિન છોડો અને ફિલ્ડમાં ઉતરો:મિલિંદ તોરવણે:સુરત મનપાનો ચાર્જ સંભાળતા જ વહીવટદાર એક્શન મોડમાં, અધિકારીઓમાં ફફડાટ

સુરત મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની ટર્મ પૂર્ણ થતા જ વહીવટદાર શાસનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત વહીવટદાર મિલિંદ તોરવણેએ ચાર્જ સંભાળતાની સાથે જ આક્રમક તેવર બતાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો છે કે, હવે ટેબલ વર્ક કે AC કેબિનમાં બેસવાનુ છોડો અને તમામ અધિકારીઓએ ફિલ્ડ પર જઈને લોકોની સમસ્યાઓ ઉકેલવી પડશે. અધિકારીઓએ ફિલ્ડમાં ઉતરીને નિરીક્ષણ કરવું પડશેમિલિંદ તોરવણેએ ચાર્જ સંભાળ્યાના પ્રથમ દિવસે જ ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર શરૂ કર્યો હતો. તેમણે ઝોનલ વડાઓ અને વિભાગીય વડાઓ સાથે લાંબી 'મેરેથોન બેઠક' યોજીને શહેરની વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ બેઠક માત્ર ઔપચારિક નહોતી, પરંતુ તેમાં કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. વહીવટદારે અધિકારીઓને તાકીદ કરી છે કે, પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અધિકારીઓએ પોતે ફિલ્ડમાં ઉતરીને નિરીક્ષણ કરવું પડશે. ખાલીખમ ઓફિસો અને ગરમીમાં ફિલ્ડવર્કવહીવટદારના આ કડક આદેશની અસર બીજા જ દિવસથી જોવા મળી હતી. સુરત મહાનગરપાલિકાના મુખ્ય મથક એવા 'શ્રી તાપી ભવન' ખાતે મોટાભાગના અધિકારીઓની ઓફિસો સવારથી જ ખાલીખમ જોવા મળી હતી. 'ફિલ્ડ વિઝિટ વગરની કોઈ કામગીરી સ્વીકારાશે નહીં'જે અધિકારીઓ અત્યાર સુધી એર-કન્ડિશન્ડ ઓફિસોમાં બેસીને માત્ર રિપોર્ટો જોતા હતા, તેઓ હવે કાળઝાળ ગરમીમાં પણ ફિલ્ડ પર જઈને કામગીરીની સમીક્ષા કરતા નજરે પડ્યા હતાં. વહીવટદારે સ્પષ્ટ કર્યું છે કે ફિલ્ડ વિઝિટ વગરની કોઈ પણ કામગીરીને સ્વીકારવામાં આવશે નહીં. ત્રણ મોરચે કામગીરી કરવા અધિકારીઓને સૂચનાવહીવટદારે આગામી દિવસો માટે મુખ્ય ત્રણ મોરચે કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપી છે. આગામી સમયમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના સ્વચ્છતા સર્વેક્ષણને ધ્યાનમાં રાખીને શહેરને ચકાચક રાખવા સૂચના અપાઈ છે. ખાસ કરીને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સફાઈ પ્રત્યે વિશેષ તકેદારી રાખવા અને ત્યાંની સફાઈ વ્યવસ્થામાં સુધારો કરવા પર ભાર મૂક્યો છે. ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે ડ્રેનેજ લાઈનોની સફાઈ, ખાડાઓનું પુરાણ અને અન્ય સુરક્ષાત્મક પગલાંઓ અત્યારથી જ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા આદેશ અપાયો છે. રોડ, રસ્તા, પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવી નાગરિકોની પાયાની જરૂરિયાતોમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 7:15 pm

વઘઈના જામલાપાડામાં કાજુ પ્રોસેસિંગથી સ્થાનિકોને મળી રોજગારી:અંબિકા બાગાયત મંડળી દ્વારા મહિલાઓને ઘર આંગણે રોજગારી

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના જામલાપાડા ગામે અંબિકા બાગાયત ફળ-ફૂલ શાકભાજી ઉત્પાદક સહકારી મંડળી દ્વારા સફળતાપૂર્વક કાજુ પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત છે. આનાથી સ્થાનિક લોકોને ઘરઆંગણે રોજગારી મળી રહી છે અને ખેડૂતોને તેમની ઉપજ માટે યોગ્ય બજાર પણ પ્રાપ્ત થયું છે. જિલ્લામાં કાજુ ઉત્પાદન અને તેના વેલ્યુ એડિશનમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી રહી છે. વર્ષ 2000માં સ્થપાયેલી આ મંડળી કાજુ ઉત્પાદનથી લઈને તેની સંપૂર્ણ પ્રોસેસિંગ પ્રક્રિયા સુધીનું કાર્ય કરે છે. મંડળી સ્થાનિક ખેડૂતો પાસેથી કાચા કાજુ ખરીદીને તેનું પ્રોસેસિંગ, ગ્રેડિંગ, સોર્ટિંગ અને પેકિંગ કરે છે. ત્યારબાદ આ પ્રોસેસ કરેલા કાજુનું વેચાણ સ્થાનિક સ્તરે તેમજ વઘઈ-સાપુતારા વિસ્તારમાં આવતા પ્રવાસીઓને કરવામાં આવે છે. આ કામગીરીથી કાજુનું વેલ્યુ એડિશન થાય છે અને ખેડૂતોને બજાર સક્ષમ ભાવ મળે છે. મંડળીના સેક્રેટરી ચિંતુભાઈ ગાવિતે જણાવ્યું કે, શરૂઆતમાં બાયફ સંસ્થા દ્વારા 18 ગ્રામ્ય વિસ્તારોમાં 'વાડી પ્રોજેક્ટ' શરૂ કરાયો હતો. આ પ્રોજેક્ટ હેઠળ દરેક ગામમાં એક એકર જમીનમાં આશરે 40 કાજુના છોડ રોપવામાં આવ્યા હતા. ઉપજને બજાર મળે તે હેતુથી અંબિકા બાગાયત ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવી અને કાજુ વેચાણ સાથે પ્રોસેસિંગ યુનિટ પણ શરૂ કરાયું. આ પ્રોસેસિંગ પ્લાન્ટમાં ખાસ કરીને સ્થાનિક મહિલાઓને રોજગારી મળે છે. વર્ષમાં લગભગ 8 થી 9 મહિના સુધી કાજુ પ્રોસેસિંગની કામગીરી ચાલતી હોવાથી ગામની મહિલાઓને રોજીરોટી માટે બહારગામ જવું પડતું નથી. તેઓ ઘરકામ સાથે મંડળીમાં કામ કરીને આવક મેળવી રહી છે. મંડળીને બાગાયત વિભાગ તરફથી ગ્રેડિંગ અને સોર્ટિંગ સાધનો માટે 90 ટકા અને પ્રોસેસિંગ સાધનો માટે 75 ટકા સુધીની સબસીડી પણ મળી છે. મંડળીમાં છેલ્લા 20 વર્ષથી કાર્યરત ઉર્મિલાબેન સતિષભાઈ રાઠોડે જણાવ્યું કે સ્થાનિક સ્તરે રોજગારી મળવાથી મહિલાઓને મોટી રાહત મળી છે. બેબીબેન ઠાકરે ઉમેર્યું કે ગામમાં જ રોજગારી મળતા પરિવારની આવકમાં વધારો થયો છે. જામલાપાડામાં શરૂ થયેલું આ કાજુ વેલ્યુ એડિશન મોડેલ હવે ડાંગ જિલ્લાના ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યું છે. આગામી સમયમાં સુરત ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સથી આવા સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક બજારમાં પહોંચવાની નવી તકો પણ પ્રાપ્ત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 7:15 pm

209 કરોડના ખર્ચે સરગાસણમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ:નવી એમ્બ્યુલન્સ, બગીચાઓના મેઈન્ટેનન્સ સહિતને લીલીઝંડી, મનપાની સ્થાયી સમિતિએ 37થી વધુ એજન્ડા મંજૂર કર્યા

ગાંધીનગર મનપાની સ્થાયી સમિતિની 64મી મહત્વની બેઠક આજે 13 માર્ચે ચેરમેનની અધ્યક્ષતામાં મળી હતી. આગામી ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે શાસક પક્ષ દ્વારા પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના વિકાસ કામોને ગણતરીના કલાકમાં જ લીલી ઝંડી આપી દેવામાં આવી હતી. આ બેઠકમાં શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને ટેકનોલોજીને લગતા મહત્વના એજન્ડાઓ પર ઔપચારિક ચર્ચા કરી મંજૂરીની મહોર મારવામાં આવી હતી. ખાસ કરીને ફ્લાવર શોના આયોજન માટે અગાઉ બહાર પાડવામાં આવેલ ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ અને ફેરફારને પગલે તેને પરત કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટર્મિનલ સુએજ પમ્પિંગ સ્ટેશન માટે ઓડોર કંટ્રોલ સિસ્ટમ આ બેઠકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયોમાં શહેરમાં પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડિંગ માસ્ટરપ્લાન તૈયાર કરવાના કરારની સમયમર્યાદા લંબાવવાની ભલામણને પણ ગ્રાહ્ય રાખવામાં આવી હતી. પર્યાવરણ અને સ્વચ્છતાના ભાગરૂપે ટર્મિનલ સુએજ પમ્પિંગ સ્ટેશન માટે ઓડોર કંટ્રોલ સિસ્ટમ બેસાડવા અંદાજે રૂ. 4.57 કરોડના કામની સામે નીચા ભાવે આવેલ રૂ. 3.78 કરોડના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી હતી. ગિફ્ટ સિટી રોડ પર નિર્માણાધીન 26 દુકાનોની ફાળવણી પ્રક્રિયા ગુજરાત ટુરિઝમ ઓપોચ્યુનિટી લિમિટેડને સોંપવાનો નિર્ણય પણ લેવાયો હતો. નવી એમ્બ્યુલન્સ વાન, બગીચાઓના મેઈન્ટેનન્સ સહિતને લીલીઝંડીજ્યારે આરોગ્ય અને સુવિધા ક્ષેત્રે આરોગ્ય શાખા માટે રૂ. 15.52 લાખના ખર્ચે નવી એમ્બ્યુલન્સ વાન ખરીદવા અને ફાયર શાખાના કર્મચારીઓ માટે ગણવેશની ખરીદીના જથ્થામાં વધારો કરવાના એજન્ડા મંજૂર કરાયા હતાં. પાયાની જરૂરિયાતોને ધ્યાને રાખી કુડાસણ ગામતળના ગ્રામ પંચાયત ભવનના રીનોવેશન માટે રૂ. 12.10 લાખના ટેન્ડરને બહાલી અપાઈ હતી. શહેરના બગીચાઓના મેઈન્ટેનન્સ અને મુક્તિધામોમાં અંતિમવિધિની કામગીરી માટેના ચાલુ ઇજારાદારોની મુદત નવા ટેન્ડર ન થાય ત્યાં સુધી લંબાવવામાં આવી હતી. 209 કરોડથી વધુના ખર્ચે 72 MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશેએજ રીતે શહેરી વિકાસના અન્ય કામોમાં સરગાસણ ખાતે 72 MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નિર્માણ માટે રૂ. 209 કરોડથી વધુના તોતિંગ ખર્ચના ટેન્ડરને મંજૂરી અપાઈ હતી. મિલકતવેરાના ચોકસાઈભર્યા સર્વે માટે જીઆઈએસ બેઝ રીસર્વેની રૂ. 8.99 કરોડની કામગીરી પણ સોંપવામાં આવી હતી. ઈવી ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા માટે નવી એજન્સી સાથે નેગોશિયેશન આ ઉપરાંત ઈવી ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા માટે અગાઉની એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી નવી એજન્સી સાથે નેગોશિયેશન કરી કામગીરી સોંપવાનો નિર્ણય લેવાયો હતો. આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન ગૌરાંગ વ્યાસે કહ્યું કે, મોટાભાગે તમામ દરખાસ્તો મંજૂર કરી દેવાઈ છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 7:08 pm

પુરવઠા વિભાગે ઓપેરા ગેસ ગોડાઉનની તપાસ કરી:સ્ટોક, વજન ચકાસી સમયસર વિતરણ સુનિશ્ચિત કરવા સૂચના આપી

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા ઓપેરા ગેસ ગોડાઉનમાં પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની સૂચના બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પુરવઠા ખાતાની ટીમે ગોડાઉનમાં ગેસ સિલિન્ડરનો જથ્થો, તેની ફાળવણીની પદ્ધતિ અને સિલિન્ડરના વજનની ચકાસણી કરી હતી. આ ઉપરાંત, સ્ટોક રજિસ્ટર સહિતના અન્ય પત્રકો પણ તપાસવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન, ગ્રાહકોને સમયસર ગેસ સિલિન્ડર મળે અને તેમને કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. શહેરમાં લગ્નગાળો ચાલતો હોવાથી ગેસ સિલિન્ડરની અછત હોવાના અને કેટલાક સ્થળોએ છૂપી રીતે વધુ ભાવ લેવાતા હોવાના અહેવાલો મળ્યા હતા. આ અહેવાલોને પગલે જિલ્લા કલેક્ટરે ગેસ પુરવઠા અંગે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 6:58 pm

‘મારી બહેનને મેસેજ કેમ કરે છે?’, ચાર શખસે બેંકકર્મીને ફટકાર્યો:પહેલાં દિવસે ઘરે જઈ બુલેટમાં તોડફોડ કરી, બીજા દિવસે ફરી બોલાવી માર માર્યો

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં બેંકમાં નોકરી કરતા રિલેશનશીપ મેનેજર પર ચાર શખસે મળીને હુમલો કર્યાની ઘટના સામે આવી છે. બહેનને મેસેજ કરવાના આરોપને લઈને પહેલા બે શખસે ફરિયાદીની બુલેટ બાઈકમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ બીજા દિવસે મળવા બોલાવીને લાકડી વડે માર મારતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. આ મામલે બેંકકર્મી ચાર શખસો સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઘરે જઈ બુલેટમાં તોડફોડ કરીઠક્કરનગર વિસ્તારમાં રહેતા જીતેન સોલંકી એક બેંકમાં રિલેશનશીપ મેનેજર તરીકે નોકરી કરે છે. ગત 11 માર્ચે જીતેન દિલ્હીથી ઘરે પરત ફર્યો હતો, તે સમયે મચ્છુ ચારણ અને ક્રિષ્ના ચારણ ફરિયાદીના ઘરે આવ્યા હતા. જીતેનના પિતાને કહ્યું હતું કે, તમારો પુત્ર મારી બહેનને મેસેજ કેમ કરે છે? તેને બહાર કાઢો. ત્યારબાદ બંને શખસે જીતેનની બુલેટ બાઈકમાં તોડફોડ કરી હતી અને ત્યાંથી ભાગી ગયા હતા. બીજા દિવસે મળવા બોલાવી હુમલો કર્યોતેમજ બીજા દિવસે જીતેન ઘરે હતો, ત્યારે મચ્છુ ચારણે તેને ફોન કરીને મળવા બોલાવ્યો હતો. જીતેનને મહાદેવના મંદિર પાસે બોલાવવામાં આવ્યો હતો. જીતેન ત્યાં પહોંચ્યો ત્યારે મચ્છુ ચારણ, ક્રિષ્ના ચારણ અને અન્ય બે શખ્સો હાજર હતા. આરોપીઓએ જીતેનને ફરીથી બહેનને મેસેજ કેમ કરે છે? તેવો સવાલ કર્યો હતો. જો કે, તે બાદ જીતેને કહ્યું હતું કે, હું કોઈ મેસેજ કરતો નથી અને તેમની બહેન જ સામેથી મેસેજ કરે છે. આ વાત સાંભળતા જ ચારેય શખસે મળીને જીતેન પર હુમલો કર્યો હતો અને લાકડીથી માર માર્યો હતો. આસપાસના લોકો આવી જતાં આરોપીઓ ધમકી આપી ફરારજો કે, તે બાદ જીતેને બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. તેમજ આરોપીઓએ ફરિયાદીને પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આસપાસના લોકો દોડી આવતા આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. તેમજ ફરિયાદી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સ્થાનિકોએ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. તે બાદ ફરિયાદીએ ચાર શખસ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 6:54 pm

હરણી બોટ દુર્ઘટના કેસ:પીડિતોને વળતરનો મુદ્દો કાનૂની દાવપેચમાં ભરાયો, વળતર ચૂકવણી માટે જવાબદાર નક્કી કરવાની કવાયત

ગુજરાત હાઇકોર્ટમાં વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સુઓ મોટો પિટિશન ઉપર સુનાવણી ચાલી રહી છે. જેમાં વર્તમાનમાં આ દુર્ઘટનામાં પીડિતોને વળતર ચૂકવવા ઉપર ચર્ચા ચાલી રહી છે. કોટિયા પ્રોજેક્ટનું કહેવું છે કે વળતર ચૂકવવા માટે તે એકમાત્ર જવાબદાર વ્યક્તિ નથી. તેના માટે વીમા કંપની, સબ કોન્ટ્રાક્ટર ટ્રાયસ્ટાર અને ડોલ્ફિન પણ જવાબદાર છે. કોટિયા પ્રોજેક્ટ દ્વારા ક્લેમ કરવામાં મોડું કરવામાં આવ્યુંઇન્સ્યોરન્સ કંપનીએ જણાવ્યું હતું કે, કોટિયા પ્રોજેક્ટ દ્વારા ક્લેમ કરવામાં મોડું કરવામાં આવ્યું હતું. વળી કોટિયા પ્રોજેક્ટ દ્વારા સબ કોન્ટ્રાક્ટ પણ આપ્યો હતો, જેના માટે તે જવાબદાર નથી. વડોદરા મહાનગરપાલિકાનું કહેવું હતું કે તેને કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પરંતુ કોટિયા પ્રોજેક્ટ દ્વારા મંજૂરી નહીં હોવા છતાં ડોલ્ફિન અને ટ્રાઇસ્ટારને સબ કોન્ટ્રાક્ટ આપીને કોન્ટ્રાક્ટની શરતોનો ભંગ કરવામાં આવ્યો છે. જ્યારે ડોલ્ફિન અને ટ્રાઇસ્ટારને સુપ્રીમમાં કોટિયા પ્રોજેક્ટની અરજી સંદર્ભે નોટિસ કાઢવાનો હાઇકોર્ટે ઇનકાર કર્યો છે. ઇન્સ્યોરન્સ કંપની વળતર ચૂકવવા જવાબદાર છે કે કેમ?અગાઉ હાઇકોર્ટે MACPની જોગવાઇ મુજબ વડોદરા જિલ્લા કલેકટરને ગણતરી કરીને મૃતકો તેમજ ઘાયલોના પરિજનોને કોટિયા પ્રોજેક્ટ દ્વારા ચૂકવવા પાત્ર થતી રકમ નક્કી કરવા માટે હુકમ કર્યો હતો. જેમાં કેટલાક મુદ્દાને લઈને કોટિયા પ્રોજેક્ટ સુપ્રીમ કોર્ટ ગયું હતું. હવે ટ્રાઇસ્ટાર અને ડોલ્ફિનને વળતર માટે જવાબદાર ગણવા કે કેમ તે મુદ્દો ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ વચ્ચે અટવાયો છે. જ્યારે ઇન્સ્યોરન્સ કંપની વળતર ચૂકવવા જવાબદાર છે કે કેમ તે અંગે અલગથી કેસ થઈ શકે તેમ છે. બોટિંગ પ્રવૃતિ ચલાવવા થર્ડ પાર્ટી એગ્રીમેન્ટ કરાયોજવાબદારીના કિસ્સામાં કોટિયા પ્રોજેક્ટ દ્વારા હરણી તળવામાં બોટિંગના જોઇન્ટ વેન્ચર પાર્ટનર અને ઇન્સ્યોરન્સ કંપનીને હાઇકોર્ટમાં ચાલી રહેલ જાહેર હિતની અરજીમાં જોડવા સુપ્રીમ કોર્ટમાં માંગ કરી હતી. જે અંગે સુપ્રીમે જરૂરી નિર્દેશો આપ્યા હતા. આ હુકમ સંદર્ભે કોટિયા પ્રોજેક્ટ દ્વારા હાઇકોર્ટને જણાવાયું હતું કે હરણી તળાવમાં બોટિંગ પ્રવૃતિ ચલાવવા થર્ડ પાર્ટી એગ્રીમેન્ટ કરાયો હતો. ઇન્સ્યોરન્સ કંપનીને પક્ષકાર તરીકે જોડવા મંજૂરી આપીકોટિયા, ટ્રાઇ સ્ટાર એન્ટર પ્રાઈઝ અને ડોલ્ફિન એન્ટરટેનમેન્ટ જોઇન્ટ પાર્ટનર છે. તેનો એગ્રીમેન્ટ ડેટ 8 જૂન, 2023 એ થયો હતો. કોટિયાને હરણી તળાવનો કોન્ટ્રાક્ટ મળ્યા પછી કોટિયાએ બોટિંગ પ્રવૃતિ માટે સબ કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જે VMC અને કોટિયા પ્રોજેક્ટ વચ્ચે થયેલા કોન્ટ્રાક્ટ મુજબ પરમિસિબલ છે. જો કે હાઇકોર્ટે ઓરીજનલ કોન્ટ્રાક્ટ મુજબ સબ કોન્ટ્રાક્ટ આપવો પરમિસિબલ છે કે કેમ તે અંગે વડોદરા મહાનગરપાલિકાની એફિડેવીટ માંગી હતી. સાથે જ આ તળાવ પ્રોજેક્ટની ઇન્સ્યોરન્સ કંપની યુનાઈટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને પક્ષકાર તરીકે જોડવા મંજૂરી આપી હતી. શું કોટિયાએ ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ રજિસ્ટર્ડ કર્યો હતો? VMCએ એડિડેવિટ રજૂ કરી હતી કે, કોટિયાએ સબ કોન્ટ્રાક્ટ માટે મંજૂરી માંગી નથી કે VMC એ આપી નથી. હાઇકોર્ટે પૂછ્યું હતું કે શું કોટિયાએ ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ રજિસ્ટર્ડ કર્યો હતો? જેનો જવાબ ના મળ્યો હતો. હાઇકોર્ટે કોટિયા પ્રોજેક્ટને મળેલા કોન્ટ્રાક્ટમાં સબ કોન્ટ્રાક્ટ આપવાની મંજૂરી છે કે કેમ? કોટિયાએ જણાવ્યું હતું કે, બોટિંગ પ્રવૃતિ જોઇન્ટ વેન્ચર પાર્ટનર કરતા હતા. કોટિયા, ડોલ્ફિન અને ટ્રાય સ્ટાર રેવન્યુ શેરિંગ કરતા હતા. અમે 25 ટકા વળતરની રકમ ભરી છે. મૃતકો અને ઇજાગ્રસ્તોને અલગ અલગ વળતર ચૂકવવા નક્કી કરાયું હતુંઅગાઉ પીડિતો અને કોટિયા પ્રોજેક્ટ એમ બંને પક્ષોને સાંભળ્યા બાદ વળતર નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં મૃતકોમાં 12 બાળકો અને 2 શિક્ષકો, જ્યારે 2 ઘાયલોને સમાવેશ થાય છે. MACP મુજબ ગણતરી કરતા મૃતક બાળક દીઠ 31.75 લાખ, એક શિક્ષકના પરિજનોને 11.22 લાખ, બીજા શિક્ષકને 16.68 લાખ તેમજ ઘાયલોને 50 હજાર રૂપિયા વળતર વડોદરા જિલ્લા કલેકટરે નક્કી કર્યું છે. આ વળતર કોટિયા પ્રોજેક્ટ દ્વારા ચૂકવવા પાત્ર છે. જેમાં જાહેર હિતની અરજી દાખલ થયેથી ચૂકવાય તેના સમયગાળામાં 9 ટકા વ્યાજ પણ ગણવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 6:51 pm

ઉત્તમ ડેરીમાં દૂધ ભરાવાનો વિવાદ, પશુપાલકોની ટ્રેક્ટર રેલી:પોલીસ સાથે ઘર્ષણ થતાં 140ની અટકાયત, દહેગામથી સચિવાલય તરફ આવતા રસ્તાઓ પર નાકાબંધી કરી'તી

ઉત્તમ ડેરીમાં દૂધ ભરાવવાના વિવાદને લઈ દહેગામ તાલુકાના પશુપાલકોએ આજે ગાંધીનગર સચિવાલય સુધી ટ્રેક્ટર રેલી કાઢી આક્રમક વિરોધ નોંધાવ્યો હતો. જોકે, પશુપાલકોની આ રેલી ગાંધીનગર પહોંચે તે પૂર્વે જ પોલીસે ચારેતરફ નાકાબંધી કરી દીધી હતી. અઢીસો જેટલા પોલીસ જવાનોના કાફલાએ ગાંધીનગર તરફ આવતા તમામ રસ્તાઓ પર નાકાબંધી કરી દીધી હતી અને આંદોલનકારીઓને અટકાવ્યા હતાં. આ ઘર્ષણ દરમિયાન પોલીસે અલગ અલગ રસ્તાઓ પરથી આશરે 140 જેટલા પશુપાલકોની અટકાયત કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. દૂધ ઉત્પાદક સંઘ વિરુદ્ધ પશુપાલકોનો મોરચોદહેગામ તાલુકાના પશુપાલકો છેલ્લા ત્રણ દિવસથી ઉત્તમ ડેરી અને અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ વિરુદ્ધ મોરચો માંડીને બેઠા છે. પશુપાલકોનો આક્ષેપ છે કે ડેરીના ચેરમેન મોહન ભરવાડના અમુક નિર્ણયોને કારણે દરરોજનું 60 હજાર લિટર દૂધ ભરાવવાનું બંધ થઈ ગયું છે, જેનાથી પશુપાલકોની આજીવિકા પર મોટું સંકટ આવ્યું છે. મોટી સંખ્યામાં મહિલા પશુપાલકો અને ખેડૂતો એકઠા થયાઆ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે આજે સવારે દહેગામ નહેરુ ચોકડી ખાતે મોટી સંખ્યામાં મહિલા પશુપાલકો અને ખેડૂતો એકઠા થયા હતા. અહીંથી 300 જેટલા ટ્રેક્ટરોમાં રેલી સ્વરૂપે વાયા ચિલોડા થઈને સચિવાલય પહોંચી સરકારને ન્યાય માટે ગુહાર લગાવવાનું આયોજન હતું. ટ્રેક્ટરો સાથે ગાંધીનગરની હદમાં પ્રવેશે તે પહેલા જ પશુપાલકોને અટકાવાયાપશુપાલકોના આંદોલનને જોતા વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારથી જ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. દહેગામથી ગાંધીનગરને જોડતા માર્ગો પર પોલીસ દ્વારા આડશો મૂકીને ટ્રાફિક રોકી દેવાયો હતો. પશુપાલકો પોતાના ટ્રેક્ટરો સાથે ગાંધીનગરની હદમાં પ્રવેશે તે પહેલા જ તેમને અટકાવી દેવામાં આવ્યા હતાં. પશુપાલકોએ મામલતદાર પાસે સુરક્ષાની માંગણી પણ કરી હતી, પરંતુ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસે આંદોલનકારીઓને આગળ વધતા અટકાવી તેમની અટકાયત કરી હતી. બે હજાર લિટર દૂધ મફત વહેંચીને પોતાનો રોષ વ્યક્ત કર્યોઅત્યાર સુધીના આંદોલનની વાત કરીએ તો,પશુપાલકોએ મામલતદાર કચેરી સામે દૂધની નદીઓ વહાવી વિરોધ કર્યો હતો. બાદમાં પશુપાલકોએ સંવેદનશીલતા બતાવી દૂધનો વ્યય કરવાના બદલે આશરે બે હજાર લિટર દૂધ જરૂરિયાતમંદો અને ગરીબોને મફત વહેંચીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. 30 ગામોમાં પણ પશુપાલકોએ દૂધ ન ભરાવીને વિરોધમાં જોડાશેબીજી તરફ નવા થાંભલીયા ગામમાં મહિલા દૂધ ઉત્પાદકોએ ભારે આક્રોશ સાથે ડેરી ચેરમેનની નનામી કાઢી હતી અને પૂતળાદહન કરીને છાજિયા કૂટ્યા હતા. ત્યારે ખાનપુર સહિતના આસપાસના 30 ગામોમાં પણ પશુપાલકોએ દૂધ ન ભરાવીને વિરોધમાં જોડાવાની જાહેરાત કરી છે. જેના કારણે આ વિવાદ આગામી દિવસોમાં વધુ વરવું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા જણાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 6:51 pm

વ્યાજબી ભાવની દુકાનનો પરવાનો રદ:ગેરરીતિ બદલ ₹1.60 લાખનો દંડ ફટકારાયો

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે આવેલી રમીલાબેન એસ. બારીયા સંચાલિત સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી છે. આ મામલે જિલ્લા પુરવઠા અધિકારી ડૉ. ભાર્ગવ ડાંગરે કડક કાર્યવાહી કરતા દુકાનદારનો પરવાનો કાયમી ધોરણે રદ કરી કુલ રૂા. 1.60 લાખનો દંડ ફટકાર્યો છે. પુરવઠા નિરીક્ષક દ્વારા આ દુકાનની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ભૌતિક ચકાસણી કરતા ઘઉંના 12 કટ્ટા, ચોખાના 45 કટ્ટા અને ખાંડમાં 15 કિલોગ્રામની ઘટ મળી આવી હતી. આ ઉપરાંત, ગ્રાહકોને કુપન ન આપવી, ભાવ અને જથ્થાનું બોર્ડ પ્રદર્શિત ન કરવું તેમજ તોલમાપનું પ્રમાણપત્ર રજૂ ન કરવા જેવી ગંભીર બેદરકારીઓ પણ જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 6:40 pm

મોરબીમાં ઘરેલુ LPG પૂરતો, કાળાબજારી સામે કડક કાર્યવાહી કરાશે:કલેક્ટર કે.બી. ઝવેરીએ ગેસ એજન્સીઓને ચેતવણી આપી

મોરબી જિલ્લામાં ઘરેલુ એલપીજીના કાળાબજાર રોકવા માટે કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને એક તાકીદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એસપી મુકેશ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે ગેસ એજન્સીઓ અને વિતરકોને ઘરેલુ ગેસ સિલિન્ડરનો હેતુફેર કે કાળાબજાર ન કરવા તાકીદ કરી હતી. તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે જો કોઈ ગેસ એજન્સી કે વિતરક ઘરેલુ એલપીજીના કાળાબજાર કરતા પકડાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એસપી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, એલપીજીના કાળાબજાર કરનારા તત્વો સામે આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ ધરપકડ કરીને કાર્યવાહી કરાશે. ભવિષ્યમાં પાસા જેવી કડક કાર્યવાહી પણ થઈ શકે છે. આવી એજન્સીઓના લાયસન્સ રદ કરીને તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. તેમણે ગેસ વિતરણકર્તાઓને વર્તમાન સંજોગોમાં ગંભીરતા દાખવવા અપીલ કરી હતી. એલપીજી સ્ટોકના પરિવહન અને કાર્યક્ષમ વિતરણ માટે ગેસ એજન્સીઓને પોલીસ સુરક્ષા પણ પૂરી પાડવામાં આવશે. ગેસનું પરિવહન અને વિતરણ ફક્ત માન્ય વાહનોમાં જ કરવાનું રહેશે. કલેક્ટરે સ્પષ્ટતા કરી હતી કે, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવ છતાં મોરબી જિલ્લામાં ઘરેલુ એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ઘરેલુ ગેસ સિલિન્ડર અને પીએનજી ગેસ પાઇપલાઇન દ્વારા પૂરા પાડવામાં આવતા ગેસનો પણ પૂરતો જથ્થો છે. ઘરેલુ એલપીજીનો પૂરતો પુરવઠો દરેક સ્થળે મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે, કેન્દ્ર સરકારના સૂચન હેઠળ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા બે એલપીજી સિલિન્ડરના બુકિંગ વચ્ચે શહેરી વિસ્તારોમાં ૨૫ દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં ૪૫ દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ, હાલ કોમર્શિયલ સિલિન્ડરનું વેચાણ નિયંત્રિત કરવામાં આવ્યું છે. જોકે, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે તેમની જરૂરિયાત મુજબ એલપીજીની ફાળવણી ચાલુ રહેશે. આ સમયે ગેસ વિતરણ કરતી એજન્સીઓ અને વિતરકો સાથે બિનજરૂરી સંઘર્ષ ન કરવા અને તેમને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા પુરવઠા અધિકારી જૈમિન કાકડિયાએ જણાવ્યું હતું કે, તમામ ગેસ વિતરકોએ ગેસ સ્ટોકની આવક-જાવકનું મેન્યુઅલ રજિસ્ટર ફરજિયાત નિભાવવું પડશે. ઉપરાંત, ઓનલાઈન ડેટા એન્ટ્રી પણ કરવાની રહેશે. જો કોઈ શંકાના દાયરામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 6:39 pm

પરીક્ષિતા રાઠોડે બનાસકાંઠા બોર્ડર રેન્જના નવા IG તરીકે ચાર્જ સંભાળ્યો:પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં કાયદો વ્યવસ્થા મજબૂત કરવા પર ભાર મૂક્યો

બનાસકાંઠા બોર્ડર રેન્જના નવા ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) તરીકે પરીક્ષિતા રાઠોડે પાલનપુર ખાતે વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે. આ રેન્જ અંતર્ગત પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના કાર્યક્ષેત્રનો સમાવેશ થાય છે. પાલનપુર આગમન સમયે બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષકો (SP) સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. અનુભવ અને પ્રાથમિકતાઓનવનિયુક્ત IGP પરીક્ષિતા રાઠોડ અગાઉ પાટણ અને કચ્છ ઈસ્ટમાં SP તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. પદભાર ગ્રહણ કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, આ અગાઉના અનુભવને કારણે તેઓ સરહદી જિલ્લાઓની ભૌગોલિક અને સુરક્ષા સંબંધી પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે. આગામી એક્શન પ્લાનચાર્જ સંભાળતાની સાથે જ તેમણે ત્રણેય જિલ્લાના SP સાથે સમીક્ષા બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી. તેમની મુખ્ય પ્રાથમિકતાઓમાં ગુના નિયંત્રણ અને સરહદી સુરક્ષા જેવી બાબતોનો સમાવેશ થાય છે: ગુના નિયંત્રણ: સાયબર ક્રાઈમ, નાર્કોટિક્સ અને પ્રોહિબિશન (દારૂબંધી) જેવી પ્રવૃત્તિઓ પર કડક અંકુશ મેળવવો. જનસંપર્ક: પોલીસ સ્ટેશને આવતા ફરિયાદીઓને ન્યાય મળે અને તેઓ પોલીસની કામગીરીથી સંતુષ્ટ થાય તેવા પ્રયાસો કરવા. સરહદી સુરક્ષા: બોર્ડર રેન્જના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવી.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 6:37 pm

મનપાનો 'હીટવેવ એક્શન પ્લાન':બપોરે 1 થી 4 શ્રમિકોને આરામ અને શાળાઓના સમયમાં ફેરફારની સૂચના, જાહેર બગીચાઓ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે

ઉનાળાની શરૂઆતની સાથે જ વધતા જતા તાપમાન અને આગામી સમયમાં હીટવેવની શક્યતાઓને ધ્યાનમાં રાખીને ભાવનગર મહાનગરપાલિકા સજ્જ બની છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં શહેર માટે 'હીટવેવ એક્શન પ્લાન' તૈયાર કરવામાં આવ્યો છે આ પ્લાન અંતર્ગત નાગરિકોના સ્વાસ્થ્ય અને કામદારોની સુરક્ષા માટે વિવિધ વિભાગોને કડક સૂચનાઓ આપવામાં આવી છે કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં ટેકનિકલ અને ટાઉન પ્લાનિંગ વિભાગને સૂચના અપાઈ છે કે, બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન આકરા તાપમાં કામ કરતા મનપાના સ્ટાફ, કોન્ટ્રાક્ટરો અને બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને પૂરતો આરામ મળી રહે તેવી વ્યવસ્થા કરવી, બિલ્ડર એસોસિએશન સાથે સંકલન કરી આ સમયગાળા દરમિયાન કામગીરી ટાળવા જણાવાયું છે, તેમજ શહેરના જાહેર બગીચાઓ સવારે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે જેથી લોકોને ગરમીમાં રાહત મળી શકે, તેમજ મુખ્ય રસ્તાઓ, બસ સ્ટેન્ડ અને ગીચ વિસ્તારોમાં પીવાના પાણીની વ્યવસ્થા અને ORS કોર્નર ઉભા કરવામાં આવશે, શાળાઓમાં બાળકોને હીટવેવથી બચવા માર્ગદર્શન આપવા અને જરૂર જણાય તો શાળાના સમયમાં ફેરફાર કરવા અંગે પણ વિચારણા કરવામાં આવશે, ​આરોગ્ય વિભાગને હીટસ્ટ્રોકના કેસો માટે દવાઓ અને મેડિકલ સ્ટાફ સજ્જ રાખવા તેમજ દૈનિક મોનીટરીંગ કરવા આદેશ અપાયા છે બીજી તરફ, પશુઓને ગરમીથી બચાવવા માટે ઢોર ડબ્બામાં સ્પ્રિંકલર અને ગ્રીન નેટ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે, ​સોલિડ વેસ્ટ વિભાગને કચરો સળગાવવાના બનાવો રોકવા અને સફાઈ કામદારો માટે પાણીની સુવિધા સુનિશ્ચિત કરવા જણાવાયું છે તેમજ ફિલ્ટર વિભાગને શહેરમાં જરૂરિયાત મુજબ પાણીના ટેન્કરોની વ્યવસ્થા જાળવી રાખવા સૂચના અપાઈ છે ભાવનગર મહાનગરપાલિકાએ નાગરિકોને પણ વિનંતી કરી છે કે બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું, પૂરતા પ્રમાણમાં પાણી પીવું અને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 6:35 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ફેમિલી કોર્ટમાં કાર્યવાહી દરમિયાન વૃદ્ધ ડોક્ટરે પત્ની પર એસિડ ફેંક્યું, બીમાર પાડતું કેમિકલયુક્ત 'શુદ્ધ ગાયનું ઘી' ઝડપાયું

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 6:25 pm

પાટણમાં ધન્વન્તરી આરોગ્ય રથનો પ્રારંભ:શ્રમિકોને સ્થળ પર મળશે પ્રાથમિક તબીબી સેવા, DDOએ લીલીઝંડી આપી

પાટણ જિલ્લામાં બાંધકામ શ્રમિકોને સ્થળ પર જ પ્રાથમિક તબીબી સેવા પૂરી પાડવા માટે વધુ એક ધન્વન્તરી આરોગ્ય રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલના હસ્તે આ રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલમાં છે. બાંધકામ સાઇટ્સ પર કામ કરતા શ્રમિકોને ઘણીવાર શારીરિક ઇજાઓ અને બીમારીઓનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બાંધકામ સાઇટ, કડીયાનાકા અને શ્રમિક વસાહતો ખાતે તાત્કાલિક પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવા માટે 'ધન્વન્તરી આરોગ્ય રથ' યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ આરોગ્ય રથ દ્વારા તાવ, ઝાડા, ઉલટી, ચામડીના રોગો અને પ્રાથમિક ઇજાઓની સ્થળ પર જ સારવાર કરવામાં આવે છે. ઉપરાંત, પેશાબ, લોહી, બ્લડ સુગર અને મેલેરિયા જેવી લેબોરેટરી તપાસો પણ ઉપલબ્ધ છે. શ્રમિકોના બાળકો અને સગર્ભા મહિલાઓને પણ જરૂરી તબીબી સલાહ અને પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવે છે. હાલમાં પાટણ જિલ્લામાં બે ધન્વન્તરી આરોગ્ય રથ કાર્યરત છે. આજે શરૂ થયેલો આ નવો રથ જિલ્લામાં આવા રથોની સંખ્યા ત્રણ કરશે. આ આરોગ્ય રથ દ્વારા શ્રમિકોને નજીકમાં જ તબીબી સારવાર મળશે, જેનાથી ગંભીર અને વ્યવસાયિક રોગોને પ્રાથમિક તબક્કે જ અટકાવી શકાશે. આ ઉપરાંત, શ્રમિકોમાં આરોગ્ય જાગૃતિ લાવવા કાઉન્સેલિંગ અને ઇ-નિર્માણ કાર્ડની નોંધણી પણ કરવામાં આવશે. ગુજરાત સરકારની આ યોજના બાંધકામ શ્રમિકોના આરોગ્ય સુરક્ષા અને સુવિધા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 6:08 pm

બોટાદ APMC ખાતે PM કિસાન ઉત્સવ દિવસ ઉજવાયો:તાલુકા મિલેટ મેળો અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પણ યોજાયો

બોટાદ જિલ્લામાં ખેડૂતોમાં જાગૃતિ લાવવા અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે બોટાદ APMC ખાતે 'પી.એમ. કિસાન ઉત્સવ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા કક્ષાનો મિલેટ મેળો અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં APMCના ચેરમેન મનહરભાઈ માતરીયા, જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારી વાળા, કૃષિ વિભાગના પ્રતિનિધિઓ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોને મિલેટ પાકોનું મહત્વ, તેના આરોગ્યલક્ષી ફાયદા અને બજારમાં તેની વધતી માંગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને વિવિધ કૃષિ યોજનાઓ વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી. તેમણે કૃષિ નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનનો લાભ લીધો હતો અને નવી કૃષિ પદ્ધતિઓ વિશે જાણકારી મેળવી હતી. બોટાદ APMC ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોમાં આધુનિક કૃષિ પદ્ધતિઓ અને મિલેટ પાકો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો, જેથી તેઓ વધુ સારી અને ટકાઉ ખેતી અપનાવી શકે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 6:07 pm

પાટણના ગોલાપુરમાં રાસાયણિક ખાતર વગર બટાકાનું મબલખ ઉત્પાદન:ખેડૂતોએ ગાય આધારિત ઓર્ગેનિક ખેતીથી કેન્સર મુક્ત પાક મેળવ્યો

પાટણ જિલ્લાના ખેડૂતોએ બટાકાની ખેતીમાં નવો રાહ ચીંધ્યો છે. પાટણ તાલુકાના ગોલાપુર ગામના ખેડૂતોએ કોઈપણ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના સંપૂર્ણ ગાય આધારિત ઓર્ગેનિક પદ્ધતિથી બટાકાનું સફળ ઉત્પાદન મેળવ્યું છે. આ પ્રયોગ બનાસકાંઠાના ડીસા અને સાબરકાંઠા જેવા બટાકા ઉત્પાદક વિસ્તારોને પણ ટક્કર આપે તેવો છે. ગોલાપુરના ખેડૂત ઉમેદસિંહ દરબાર અને સરપંચ દિલીપસિંહ મારુએ ચાલુ વર્ષે પ્રાયોગિક ધોરણે પ્રથમ વખત બટાકાનું વાવેતર કર્યું હતું. સામાન્ય રીતે બટાકાની ખેતીમાં યુરિયા, ડીએપી અને સલ્ફેટ જેવા ખાતરોનો વ્યાપક ઉપયોગ થાય છે, પરંતુ આ ખેડૂતોએ માત્ર 25 થી 30 ટ્રોલા દેશી છાણિયું ખાતર વાપરીને ખેતી કરી છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવા છતાં બટાકાનું કદ અને ગુણવત્તા ઉત્તમ જોવા મળી છે. ખેડૂતોના મતે, ડીસા અને સાબરકાંઠાના વિસ્તારોમાં બટાકાને વહેલા કાઢવા માટે કેમિકલનો ઉપયોગ થાય છે અને માત્ર 70 દિવસમાં પાક લેવાય છે. જ્યારે ગોલાપુરમાં 120 દિવસનો સંપૂર્ણ સમય આપી કુદરતી રીતે પાક તૈયાર કરવામાં આવ્યો છે. ઉત્પાદનની દ્રષ્ટિએ, ઓર્ગેનિક ખેતીમાં પ્રતિ વીઘા અંદાજે 70 થી 100 કટ્ટા જેટલા બટાકા થવાની ધારણા છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને દવાઓના અતિશય વપરાશને કારણે જમીન બગડવાની સાથે કેન્સર જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. બટાકા, શાકભાજી અને ફળો સજીવ હોવાથી જો તેમાં ઝેર રૂપી કેમિકલ નાખવામાં આવે તો તે માનવ શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે. આથી જમીનને કેમિકલ મુક્ત કરવા અને સમાજને કેન્સર જેવા રોગોથી બચાવવા માટે ગૌશાળાના છાણ અને ગાય આધારિત ખેતી પર ભાર મૂકવામાં આવ્યો છે. ખેતીના આ સફળ પ્રયોગ અંગે ઉમેદસિંહ દરબારે જણાવ્યું હતું કે, કેમિકલયુક્ત ખેતીને કારણે વધતા કેન્સરના કેસો ચિંતાનો વિષય છે. દવાઓ પર ઝેર લખેલું હોવા છતાં લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે, જે ધરતી માતા અને સ્વાસ્થ્ય બંને માટે જોખમી છે. પ્રથમ પ્રયાસે જ થયેલું મબલખ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન જોઈ અન્ય ખેડૂતો પણ હવે ઝેરમુક્ત ખેતી તરફ વળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 6:04 pm

સસ્તામાં ટૂરના બહાને 44 પ્રવાસી સાથે લાખોની છેતરપિંડી:બનારસ, દાર્જિલિંગ અને અયોધ્યાની ટૂર અધવચ્ચે જ લટકાવી દેનાર ઠગ યુવરાજ જરીવાલા ઝડપાયો

સુરત શહેરમાં પ્રવાસના શોખીન લોકોને સસ્તામાં લક્ઝરી ટૂર કરાવવાની લાલચ આપી છેતરપિંડી આચરવાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. બનારસ અને દાર્જિલિંગ જેવા સ્થળોએ ફ્લાઇટમાં લઈ જવાના બહાને 44 લોકો પાસેથી લાખો રૂપિયા પડાવનાર ઠગ યુવરાજ જરીવાલાની ચોક બજાર પોલીસે ધરપકડ કરી છે. શું હતો સમગ્ર મામલો?2022માં આરોપી યુવરાજ જરીવાલાએ પ્રવાસીઓને આકર્ષવા માટે આકર્ષક ટૂર પેકેજની જાહેરાત કરી હતી. તેણે બનારસ, દાર્જિલિંગ અને અયોધ્યા જેવા ધાર્મિક તથા પર્યટન સ્થળોએ 13 દિવસનો પ્રવાસ કરાવવાનું વચન આપ્યું હતું. 44 લોકો પાસેથી અંદાજે 9.46 લાખમાં સોદો નક્કી થયો હતો. આરોપીએ 44 પરિવારો પાસેથી ટુકડે-ટુકડે કુલ 5.28 લાખ જેટલી રકમ મેળવી લીધી હતી. લોકોને ફ્લાઇટ દ્વારા મુસાફરી કરાવવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. પ્રવાસ અધવચ્ચે લટકાવ્યોજ્યારે પ્રવાસની તારીખ આવી ત્યારે આરોપી પોતે સાથે જવાને બદલે પ્રવાસીઓ સાથે માત્ર એક મેનેજરને મોકલી આપી છટકી ગયો હતો. પ્રવાસ દરમિયાન પ્રવાસીઓને નક્કી થયા મુજબની સુવિધાઓ મળી નહોતી અને અધવચ્ચે જ પ્રવાસ ટૂંકાવી દેવાની ફરજ પડી હતી. પોતાને છેતરાયા હોવાનો અહેસાસ થતા પ્રવાસીઓએ સુરત પરત આવી પોલીસનો સંપર્ક કર્યો હતો. કૌભાંડમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ?ભોગ બનનાર પ્રવાસીઓની ફરિયાદના આધારે ચોક બજાર પોલીસે આરોપી યુવરાજ જરીવાલાની ધરપકડ કરી છે. યુવરાજે અગાઉ પણ આ રીતે કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ? તે દિશામાં પોલીસે પૂછપરછ હાથ ધરી છે. કોઈપણ અજાણી ટૂર એજન્સી કે વ્યક્તિને મોટી રકમ ચૂકવતા પહેલા તેની વિશ્વસનીયતા અને લાયસન્સની તપાસ ચોક્કસપણે કરવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 6:03 pm

દાહોદના 158 દિવ્યાંગને મોટરરાઈઝ્ડ ટ્રાયસીકલ, વ્હીલચેર અપાઈ:મુખ્યમંત્રીના અભિયાન હેઠળ 148 ટ્રાયસીકલ અને 10 જોયસ્ટિક વ્હીલચેરનું વિતરણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર રાજભવન ખાતેથી દિવ્યાંગો માટેની નવીન સાધન સહાય યોજનાનો પ્રારંભ કરાયા બાદ, દાહોદ જિલ્લામાં પણ તેનો અમલ શરૂ થયો છે. દાહોદ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા આયોજિત કાર્યક્રમમાં 158 જરૂરિયાતમંદ દિવ્યાંગ લાભાર્થીઓને આધુનિક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગોને શારીરિક શ્રમમાંથી મુક્તિ અપાવી આર્થિક અને સામાજિક રીતે આત્મનિર્ભર બનાવવાનો છે. આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના ચીફ પ્રોબેશન ઓફિસર આર.પી. ખાટા અને બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલના યુસુફી કાપડિયાના હસ્તે સાધનોનું વિતરણ કરાયું હતું. કુલ 148 મોટરરાઈઝ્ડ ટ્રાયસીકલ અને 10 અત્યાધુનિક જોયસ્ટિક વ્હીલચેર લાભાર્થીઓને સોંપવામાં આવી હતી. આ મોટર સંચાલિત સાધનો મળવાથી દિવ્યાંગોને લાંબા અંતરના પ્રવાસ માટે અન્ય વ્યક્તિ પર નિર્ભર રહેવું પડશે નહીં, જેનાથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થશે. વિતરણ દરમિયાન, લાભાર્થીઓને સાધનોના ટેકનિકલ ઉપયોગ વિશે ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું હતું. કચેરીના કર્મચારીઓએ વિવિધ તાલુકાઓમાંથી આવેલા દિવ્યાંગોને સાધનોની જાળવણી અને ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જોયસ્ટિક વ્હીલચેર મેળવનારા ગંભીર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ માટે આ સાધન ખાસ કરીને ફાયદાકારક છે, કારણ કે તેઓ હવે આંગળીના ટેરવે પોતાની હલનચલન નિયંત્રિત કરી શકશે. સરકારના આ પગલાથી દાહોદ જેવા આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લામાં છેવાડાના દિવ્યાંગો સુધી સુવિધા પહોંચી છે. નવી ટેકનોલોજીથી સજ્જ આ ટ્રાયસીકલ દિવ્યાંગો માટે રોજગારીના નવા અવસર ઊભા કરશે. લાભાર્થીઓએ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર માનતા જણાવ્યું હતું કે, આ સાધનો તેમના જીવનની મુશ્કેલીઓ સરળ બનાવશે અને તેમને સમાજમાં સન્માનપૂર્વક જીવવાની તક આપશે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 5:58 pm

ગેસના બાટલા લઈ વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસ નેતા:પૂજારીઓએ ભગવો લજવ્યો, ભરણપોષણ કેસમાં પતિએ પત્ની પર કર્યો એસિડ એટેક

વિધાનસભામાં કોંગ્રેસે દેખાવો કર્યો અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે સર્જાયેલા ગેસ સંકટ પર કોંગ્રેસે વિધાનસભામાં દેખાવો કર્યો.અમિત ચાવડાએ ખભે સિલિન્ડર લીધો તો તુષાર ચૌધરીએ માથે લાકડા લઈને પહોંચ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બોમ્બની ધમકી મળવાનો સિલસિલો યથાવત ગઈકાલે અમદાવાદ મેટ્રો કોર્ટ બાદ આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ અને ભરૂચ કોર્ટને મળી બોમ્બની ધમકી.સોમવારે પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પરિસરોમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બસ્ક્વોડને સાથે રાખી તપાસ હાથ ધરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વૃદ્ધ પતિએ પત્ની પર કર્યો એસિડ અટેક સુરતની ફેમિલી કોર્ટમાં પતિએ પત્ની પર એસિડ ફેંક્યું.વૃદ્ધ દંપતીનો ભરણપોષણનો કેસ ચાલી રહ્યો હતો. પત્ની પર એસિડ ફેંક્યા બાદ પતિએ પણ ઝેરી દવા ગટગટાવી લીધી. .બંનેને સારવાર માટે ખસેડાયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગરમી સાથે સાથે વરસાદની આગાહી ગુજરાતમાં કાળઝાળ ગરમી સાથે હવે વરસાદની આફત..18-19મીએ રાજકોટ-વડોદરા સહિત 17 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. તો હજી 24 કલાક હીટવેવની આગાહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કિંજલ રબારીએ ફરી કરી સુરક્ષાની માગ અન્ય સમાજમાં લગ્ન બાદ થયેલા વિવાદને પગલે સિંગર કિંજલ રબારીએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શંકર ચૌઘરી પાસે સુરક્ષાની માગ કરી.. લગ્નની જાહેરાત બાદથી જ તેને અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભદ્ર પાથરણાં બજાર પર હાઈકોર્ટનો ચૂકાદો અમદાવાદના ભદ્ર વિસ્તારમાં પાથરણાંવાળાને 21 માર્ચ સુધી પુનઃસ્થાપિત કરવાનો હાઈકોર્ટે આદેશ આપ્યો. કોર્ટે કહ્યું કે એએમસી સર્વે વગર 'નો વેંડિગ ઝોન જાહેર ન કરી શકે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગાયના ઘીના નામે નકલી ઘી વેચતું કારખાનું ઝડપાયું સુરતમાં ગાયના ઘીના નામે નકલી ઘી પીરસતા કારખાનું ઝડપાયું.. ડાલડામાં સોયાબીન તેલ અને કેમિકલ ભેળવીને જાણીતી બ્રાન્ડ્સના નામે નકલી ઘી વેચાતું હતું. પોલીસે 2200 જેટલા નકલી ઘીના ડબ્બા જપ્ત કર્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દાનપેટીમાંથી પૂજારીઓએ ચોરી કરી નોનવેજ અને દારુ પાર્ટી બાદ હવે જૂનાગઢના ગિરનારના અંબાજી મંદિરમાં પૂજારીઓનો ચોરી કરતો વીડિયો સામે આવ્યો.. દાનપેટીમાંથી ચોરી કરતા પૂજારીઓ સીસીટીવીમાં કેદ થયા છે.. કોંગ્રેસે ગંગાજળ- ગૌમૂત્રથી મંદિરનું શુદ્ધિકરણ કર્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાંધકામ અરજીમાં સેટલમેન્ટ માટે 3 લાખની લાંચ માગી રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટરે બાંધકામ અરજીમાં સેટલમેન્ટના નામે 3 લાખ રુ.ની લાંચ માગી.. છેલ્લે સવા લાખમાં પતાવટ કરવાની વાત કરી, કોર્પોરેટરના આ કારસ્તાનનો વીડિયો પણ સામે આવ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજસ્થાનથી આવતી બસમાં આગ, 1નું મોત ધાનેરા પાસે રાજસ્થાનની ગુજરાત આવતી બસમાં આગ લાગી.. 1 મુસાફરનું મોત નીપજ્યું, 6 થી વધુ ગંભીર રીતે દાઝી ગયા. મુસાફરો જીવ બચાવવા બારીમાંથી કૂદી પડ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 5:55 pm

કેન્દ્રીય વિદ્યાલયને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો વિદ્યાર્થી નીકળ્યો:ધો.10ની પરીક્ષા ન આપવા પ્રેંક, મેસેજમાં લખ્યું-'યોર સ્કૂલ વીલ બી કમ્પ્લિટલી ડિસ્ટ્રોઈડ ટુમોરો, ગોડ ઈઝ ગ્રેટ, અલ્લાહુ અકબર'

વડોદરાના મકરપુરા ખાતે આવેલ એરફોર્સ સ્ટેશન સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં બોમ્બ ધમકી આપવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ધમકી આપનાર વ્યક્તિ કોઈ બહારનો નહીં, પરંતુ તે જ શાળાનો ધોરણ-10નો વિદ્યાર્થી નીકળ્યો છે, જે હાલ CBSE બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. ધમકીને પગલે મકરપુરા પોલીસે ચેકિંગ પણ કર્યું હતું. આખી સ્કૂલમાં તપાસ કરવામાં આવી હતી. પોલીસ સૂત્રો અનુસાર, વિદ્યાર્થીએ પરીક્ષા ન આપવી પડે તે માટે આ પ્રેંક મેસેજ કર્યો હતો. તેણે શાળાના એક શિક્ષકને WhatsApp પર મેસેજ મોકલ્યો હતો, જેમાં લખ્યું હતું: Your school will be completely destroyed tomorrow, God is great, Allahu Akbar. એટલે કે, આવતીકાલે તમારી સ્કૂલ સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવશે. ભગવાન મહાન છે, અલ્લાહુ અકબર. આ મેસેજ 5 માર્ચના રોજ વહેલી સવારે રાત્રિ 3:43 વાગ્યે મોકલવામાં આવ્યો હતો. ઘટનાના 8 દિવસ બાદ, એટલે કે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મેસેજ મોકલનાર વિદ્યાર્થીની ઓળખ થઈ અને તે કેન્દ્રીય વિદ્યાલયનો જ વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ શાળા વહીવટી તંત્ર અને વાલીઓમાં ખળભળાટ મચાવી દીધી છે, કારણ કે બોમ્બ ધમકી જેવા ગંભીર મુદ્દે પણ તે માત્ર પરીક્ષા ટાળવાના ઈરાદાથી કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આવા પ્રેંકના કિસ્સામાં કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. મકરપુરા એરપોર્ટ સ્ટેશનમાં આવેલા કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષક સંતોષકુમાર શૈલેષકુમાર તિવારીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઇ તારીખ 5 માર્ચના રોજ વહેલી સવારે 3:43 વાગ્યે મારા વોટ્સએપ નંબર પર એક અજાણ્યા આંતરરાષ્ટ્રીય નંબર પરથી અરબી ભાષામાં મેસેજ આવ્યો હતો. મેં સવારે આશરે 8 વાગ્યે સ્કૂલે પહોંચીને આ મેસેજ જોયો હતો. ગુગલ ટ્રાન્સલેટની મદદથી જોતા તેમાં લખ્યું હતું: Your school will be completely destroyed tomorrow, God is great, Allahu Akbar. એટલે કે આવતીકાલે તમારી સ્કૂલ સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવશે. મેં તાત્કાલિક શાળાના આચાર્યશ્રીને જાણ કરી હતી, ત્યારબાદ સવારે 8:12 વાગ્યે પોલીસને જાણ કરી હતી. પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ તાત્કાલિક સ્કૂલ પર આવી પહોંચી હતી. પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા શાળાના સંકુલ અને આસપાસના વિસ્તારમાં સઘન તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કોઈ વિસ્ફોટક કે, વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી. આથી, આ ધમકીભર્યો મેસેજ હોવાનું જણાયું હતું. વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાને રાખી પરીક્ષા રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી હતી. આવા ખોટા અને ડરામણા મેસેજથી શાળાના સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વડોદરાના નાગરિકોમાં ભય અને તણાવનું વાતાવરણ ઉભું થાય છે. આ કૃત્ય કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તે હેતુથી મેં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ આપી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 5:53 pm

વાપી: ભાણેજ પર દુષ્કર્મ ગુજારનાર મામાને 20 વર્ષની સજા:કોર્ટે ₹4 લાખ વળતરનો આદેશ કર્યો, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી

વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટે 13 વર્ષની ભાણેજ પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં મામાને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે પીડિતાને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આરોપી રણજીત આંધેર (ઉંમર 23) એ વર્ષ 2022માં તેની 13 વર્ષની ભાણેજને સરીગામ બજારમાંથી નવા કપડાં અપાવવાની લાલચ આપી હતી. તે સગીરાને બાઈક પર બેસાડી બજારને બદલે કરમબેલા પાસે GHCL કંપનીની પાછળ આવેલા દરૌઠા ખાડી કિનારે ફોરેસ્ટના જંગલમાં લઈ ગયો હતો. જંગલની ઝાડીઓમાં તેણે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કૃત્યનો તેણે પોતાના મોબાઈલમાં વીડિયો પણ ઉતાર્યો હતો. ત્યારબાદ તેણે સગીરાને ધમકી આપી હતી કે જો તે કોઈને આ વાત કહેશે તો વીડિયો વાયરલ કરી દેશે અને તેને જાનથી મારી નાખશે. આ કેસ વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો. સ્પેશિયલ જજ એચ.એન. વકીલે સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે આરોપીને POCSO એક્ટ અને IPC કલમ 376(3) હેઠળ દુષ્કર્મ માટે 20 વર્ષની સખત કેદ અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, IPC કલમ 366 હેઠળ અપહરણ માટે 10 વર્ષની સજા અને 5,000 રૂપિયાનો દંડ તથા IPC કલમ 506(2) હેઠળ જાનથી મારવાની ધમકી આપવા બદલ 2 વર્ષની કેદ અને 500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે પીડિતાની માનસિક સ્થિતિ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને 'ગુજરાત વિક્ટીમ કમ્પેન્સેશન સ્કીમ' હેઠળ 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. જો આરોપી દંડની રકમ ન ભરે તો તેણે વધુ 1 વર્ષ જેલમાં વિતાવવું પડશે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 5:43 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પાથરણાંવાળાને ફરી ભદ્ર બજારમાં બેસવા દેવા હાઇકોર્ટનો આદેશ, પોલીસે NSUIના કાર્યકરોને ઢસડીને ડબ્બામાં પૂર્યાં

દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 5:41 pm

જૈન મુનિરાજ ગુજરાતથી મધ્યપ્રદેશના મોહનખેડા તીર્થ તરફ વિહાર કરશે:પાટણમાં પધારીને પેપરાળ તીર્થમાં બિરાજમાન હતા

જૈન મુનિરાજ ચારિત્રરત્નવિજયજી મહારાજ અને મુનિરાજ અજીતસેનવિજયજી મહારાજ શુક્રવાર, 13 માર્ચના રોજ સાંજે ચાર કલાકે પેપરાળ તીર્થથી વિહાર કરશે. તેઓ મધ્યપ્રદેશના મોહનખેડા તીર્થમાં ગુરુ રાજેન્દ્રસૂરિ સમાધિ મંદિર તરફ પ્રયાણ કરશે. આ મુનિરાજ શ્રી સૌધર્મ બૃહતપાગચ્છીય ગુરુદેવ શ્રીમદ વિજય જયંતસેનસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય છે. તાજેતરમાં તેઓ પાટણ નગરે પધાર્યા હતા અને હાલમાં ગુરુ જયંતસેનના જન્મસ્થળ પેપરાળ તીર્થમાં બિરાજમાન હતા.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 5:36 pm

મહાત્મા મંદિર મેટ્રોથી ગાંધીનગર રેલવે સ્ટેશન જવા 16 મિનિટ બચશે:હાઈટેક ટ્રાવેલેટરથી 1.3 કિમી લોકોને ચાલવુ નહી પડે, ફક્ત માત્ર 4 મિનિટમાં પહોંચી શકશો

ગુજરાતના પાટનગરને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન અને ગાંધીનગર રેલવે સ્ટેશન વચ્ચેના અંતરને ઘટાડવા માટે નિર્મિત હાઈટેક ટ્રાવેલેટરને આખરે મુસાફરો માટે ખુલ્લું મુકી દેવાયું છે. મલ્ટી મોડેલ ઇન્ટિગ્રેશનના ભાગરૂપે આશરે 30 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું આ 400 મીટર લાંબુ ટ્રાવેલેટર મેટ્રો અને રેલવે બંનેના મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. શરૂઆતી તબક્કે થયેલા વિલંબ બાદ ઉચ્ચ કક્ષાએથી મળેલી કડક સૂચનાઓને પગલે પ્રોજેક્ટને તરતો મૂકી દેવાયો છે. ગાંધીનગરમાં મુકાયેલું ટ્રાવેલેટર ગુજરાતમાં આ પ્રકારનો પ્રથમ પ્રયોગ છે. ટ્રાવેલેટર શરૂ થતાં હવે 1.3 કિમી ચાલવું નહીં પડે અત્યાર સુધી ગાંધીનગર રેલવે સ્ટેશનથી મેટ્રો પકડવા માટે મુસાફરોએ નીચે રસ્તા પર ઉતરીને ખ-રોડ પરથી અંદાજે 1.3 કિલોમીટર જેટલું ચાલીને જવું પડતું હતું. આ મુસાફરીમાં અંદાજે 15થી 20 મિનિટનો સમય વેડફાતો હતો. 4 મિનિટમાં રેલવે સ્ટેશન સંકુલ પહોંચી શકશોજોકે હવે આ આધુનિક સુવિધા શરૂ થતા મુસાફરોએ નીચે રસ્તા પર આવવાની જરૂર જ પડતી નથી. મેટ્રો સ્ટેશનથી ઉતરીને સીધા જ ટ્રાવેલેટર પર ચઢીને માત્ર 4 મિનિટમાં રેલવે સ્ટેશનના સંકુલમાં પહોંચી શકાય છે. રસ્તો ઓળંગ્યા વિના ત્રણ ભાગમાં 400 મીટર મુસાફરી હાઈટેક ટ્રાવેલેટરની વિશેષતા એ છે કે તેને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ તબક્કો મુસાફરોને ઐતિહાસિક દાંડી કુટીર સુધી લઈ જાય છે. ત્યાંથી થોડા ડગલાંના અંતરે બીજો વિભાગ અને ત્યારબાદ ત્રીજો વિભાગ શરૂ થાય છે. જે છેક મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનની અંદર ઉતારે છે. આ 350થી 400 મીટરની મુસાફરી દરમિયાન મુસાફરોએ ક્યાંય પણ રસ્તો ઓળંગવો પડતો નથી, જે સુરક્ષા અને સુવિધાની દ્રષ્ટિએ મહત્વનો છે. આરામથી એક સ્ટેશનથી બીજા સ્ટેશન પર જઈ શકાશેઆ પ્રોજેક્ટનો સૌથી મોટો ફાયદો વૃદ્ધો, અશક્ત વ્યક્તિઓ અને દિવ્યાંગ મુસાફરોને મળશે. અગાઉ ભારે સામાન સાથે ટ્રાફિક વચ્ચે રસ્તો ક્રોસ કરવો તેમના માટે જોખમી અને થકવી દેનારો હતો. હવે ટ્રાવેલેટરની મદદથી કોઈપણ શારીરિક શ્રમ વગર તેઓ આરામથી એક સ્ટેશનથી બીજા સ્ટેશન પર જઈ શકે છે. મેટ્રો અને રેલવે સ્ટેશન જતાં મુસાફરોનો ફાયદો ગાંધીનગરના આધુનિકીકરણ અને પરિવહન સેવાઓને પેસેન્જર ફ્રેન્ડલી બનાવવાની દિશામાં આ પ્રોજેક્ટ ગેમચેન્જર સાબિત થવાનો છે. આગામી સમયમાં જ્યારે મેટ્રો અને રેલવેમાં મુસાફરોનો ધસારો વધશે ત્યારે આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર શહેરની ગતિશીલતા જાળવી રાખવામાં પાયાની ભૂમિકા ભજવશે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 5:32 pm

ભરૂચ નગર સેવાસદનનું ₹235.10 કરોડનું બજેટ મંજૂર:₹37.71 કરોડની પુરાંત, વિપક્ષે જૂના પ્રોજેક્ટોનો મુદ્દો ઉઠાવ્યો

ભરૂચ નગર સેવાસદનની ચૂંટણી પૂર્વેની અંતિમ સામાન્ય સભામાં ₹235.10 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટમાં ₹37.71 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. પ્રમુખ વિભૂતિ યાદવની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ₹197.38 કરોડના ખર્ચનો અંદાજ રજૂ કરાયો હતો. ગત વર્ષે નગર સેવાસદન દ્વારા ₹206 કરોડનું બજેટ રજૂ કરાયું હતું, જેની સરખામણીમાં આ વર્ષે બજેટનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આઉટગ્રોથ વિસ્તારોના વિકાસને ધ્યાનમાં રાખીને બજેટનો વ્યાપ વધારવામાં આવ્યો છે. જોકે, આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને શાસક પક્ષે કોઈ મોટા બદલાવ કે નવા કર-વેરા લાગુ કર્યા નથી. બજેટમાં શહેરમાં વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવાની યોજના રજૂ કરવામાં આવી છે. જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મોડેલ શાળા, આઇકોનિક રોડ, ટાઉનહોલનું નિર્માણ, શહેરના સર્કલોનું નવીનીકરણ તેમજ રતન તળાવના વિકાસ જેવા કામોનો સમાવેશ થાય છે. આ તરફ વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ સમસાદઅલી સૈયદ અને તેમના સભ્યોએ ભાજપના સત્તાધીશો પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના સભ્યોએ જણાવ્યું હતું કે બજેટમાં 20-20 વર્ષ જૂના પ્રોજેક્ટોને ફરી રજૂ કરવામાં આવ્યા છે. સાથે જ, ડોર-ટુ-ડોર કચરા ઉઠાવવાની સેવામાં અનિયમિતતા મુદ્દે પણ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. બેઠક દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચા અને ટીકા-ટિપ્પણીઓ વચ્ચે અંતે બજેટને મંજૂરી આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 5:25 pm

હીટવેવ સામે આરોગ્ય વિભાગની તૈયારી:સ્મીમેર હોસ્પિટલમાં બાથ ટબ સાથે આઈસ બેડની વ્યવસ્થા, દર્દીને લૂ લાગતા તાત્કાલિત સારવાર આપી શકાશે

સુરતના શહેરીજનોને આકરા તાપ અને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ તકેદારીના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પણ હીટ સ્ટ્રોકથી દર્દીઓને બચાવવા માટે અગ્રીમ તૈયારીઓમાં બાથટબ અને આઈસ બેડની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શહેરીજનોને હીટ સ્ટ્રોકથી બચાવવા સુરત મનપાના ખાસ પગલાંઉનાળાની સીઝન શરૂ થઈ ગઈ છે, માર્ચ મહિનામાં જ આકરી ગરમી પડી રહી છે. આગાહી પ્રમાણે ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. આટલા તાપમાન વચ્ચે શહેરીજનોને ગરમી અને આકરા તાપથી ત્રાહિમામ પોકારવાની નોબત આવશે, જોકે બીજી બાજુ શહેરીજનોને આકરા તાપ અને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા ખાસ તકેદારીના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. સ્મીમેર હોસ્પિટલના કેઝ્યુલિટી વિભાગમાં બાથટબ મુકાયાસ્મીમેર હોસ્પિટલમાં રોજ હજારો દર્દીઓ જુદા જુદા વિભાગોમાં સારવાર માટે આવતા હોય છે. અહીં ફક્ત સુરત જ નહીં પરંતુ આસપાસના તેમજ નજીકના ગામડાઓથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. હવે સ્મીમેર હોસ્પિટલ તંત્ર દ્વારા આકરા તાપ અને વધતા તાપમાનને ધ્યાને રાખીને અને હીટવેવની સંભાવનાઓ વચ્ચે દર્દીઓ માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે, દર્દીઓને હીટસ્ટ્રોકથી બચાવવા અને તાત્કાલિક ખાસ પ્રકારની ટ્રિટમેન્ટ મળી રહે તે માટે કેઝ્યુલિટી વિભાગમાં બાથટબ મુકવામાં આવ્યાં છે, તેમજ આઈસ બોક્ષ એટલે બરફની પેટી પણ મુકવામા આવી છે. દર્દીને લૂ લાગે ત્યારે તેનું બોડી ટેમ્પરેચર વધી જાય છેસ્મીમેરના ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, ગરમીમાં જયારે કોઈ દર્દી હીટસ્ટ્રોક એટલે કે લૂ લાગે ત્યારે તેનું બોડી ટેમ્પરેચર નોર્મલ કરતા વધી જાય છે, સામાન્ય કરતા હાઈગ્રેડ તાવનો પારો 105- 106 સુધી પહોચી જાય, જેને પગલે બેભાન થઈ શકે અને કઈ પણ બબડયા કરે છે, આ ફરિયાદો એટલે કે જે દર્દીને લૂ લાગી હોય તેને જયારે સ્મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવશે, ત્યારે તેની સારવાર માટે બાથટબની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. હીટ સ્ટ્રોકથી બચવા આઈસ બેડની વ્યવસ્થા કરાઈસ્મીમેરના RMOએ જણાવ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકવાળા દર્દીઓને એમના જે લક્ષણ છે કે અત્યંત ગરમી લાગવી, પરસેવો થવો, માથું દુખવું, ચક્કર આવવા, ઉલ્ટી-ઉપકા થવા, ગળું સુકાવું. જેનાથી બચવા માટે આપણે ત્યાં આઈસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. એમનું ટેમ્પરેચર નોર્મલ રહે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વોર્ડમાં પાણીના જગની વ્યવસ્થાજ્યારે પણ આવા દર્દીઓ આવે ત્યારે એમને પૂરતા પ્રમાણમાં એટલે કે બોડીમાં પાણી મેન્ટેન રહે એના માટે આઈવી ફ્લુઈડ્સ (IV Fluids), ઓઆરએસ (ORS), લિક્વિડ્સ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વોર્ડમાં પણ પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે કોઈ પણ વ્યક્તિ કે દર્દીને આની તકલીફ ના પડે. અને આપણે આના માટે આપણા ઇમરજન્સી વિભાગમાં પણ એ બધી વ્યવસ્થા, આ રીતે આઈસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. 'લૂ' થી બચવા માટે સુતરાઉ કપડાં પહેરવાદરેક વ્યક્તિએ 'લૂ' થી બચવા માટે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. બહુ જ જરૂરી હોય ત્યારે જ તડકામાં નીકળવું. નીકળો ત્યારે માથા પર રૂમાલ, ઠંડુ કપડું અથવા છત્રી કે કેપ (Cap) પહેરીને નીકળવું. અને થોડા થોડા અંતરે નારિયેળ પાણી, પાણી, લીંબુ શરબત, છાશ વગેરે વધારે લિક્વિડ્સ લેવા જોઈએ, જેથી આપણા શરીરનું ટેમ્પરેચર મેન્ટેન રહે. દર્દીને સમસયર તાત્કાલિક સારવાર મળી રહેબાથટબની અંદર બરફવાળું ઠંડુ પાણી હોય છે, ટબની અંદર દર્દીને સુવડાવવામાં આવે છે, જેથી ઠંડા પાણીને લીધે બોડી ટેમ્પરેચર સામાન્ય થવા લાગે છે અને નોર્મલ થાય, આ રીતે દર્દીનો જીવનનો ખતરો ટળી જાય અને એક વિશેષ પ્રકારની સારવારથી તેનો જીવ બચાવી શકાય, તેમજ સમસયર તાત્કાલિક સારવાર મળી રહે. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાને રાખીને અને હીટસ્ટ્રોકની સંભાવનાઓને જોઈને આ વિશેષ પ્રકારની વ્યવસ્થાઓ અને તૈયારીઓ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 5:23 pm

વૈભવ ચોકસી અખિલ ભારતીય સુવર્ણકાર સંઘના ગુજરાતના ઉપાધ્યક્ષ:સુરેન્દ્રનગરના યુવા અગ્રણીની વરણી વાર્ષિક સામાન્ય સભા અને સ્નેહમિલન દરમિયાન કરવામાં આવી

સુરેન્દ્રનગરના સોની સમાજના અગ્રણી વૈભવભાઈ ચોકસીની અખિલ ભારતીય સુવર્ણકાર સંઘના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. તેમની સર્વાનુમતે પસંદગી થતા સમાજમાં સંતોષની લાગણી જોવા મળી હતી. આ વરણી અખિલ ભારતીય સુવર્ણકાર સંઘની વાર્ષિક સામાન્ય સભા અને સ્નેહમિલન દરમિયાન કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયો હતો.આ પ્રસંગે સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ કાશ્મીરસિંહ રાજપૂત, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અરવિંદભાઈ રાણીંગા, સુરેન્દ્રનગરના કેતનભાઈ રોજાસરા સહિત દેશભરના સુવર્ણકાર આગેવાનો અને વિવિધ જ્વેલર્સ એસોસિએશનના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.વૈભવભાઈ ચોકસીની આ વરણીથી સુરેન્દ્રનગર સોની સમાજમાં સકારાત્મક વાતાવરણ સર્જાયું છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 5:17 pm

જામનગરમાં ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં બીજો કોપી કેસ:વિદ્યાર્થિની રૂમાલમાં કાપલી સંતાડી પરીક્ષા આપતા ઝડપાઈ

જામનગર જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. આ દરમિયાન આજે ધોરણ 10ના પેપરમાં વધુ એક વિદ્યાર્થિની કોપી કરતાં ઝડપાઈ છે. આ ચાલુ પરીક્ષાનો બીજો કોપી કેસ નોંધાયો છે. આ ઘટના જામનગરની પી.વી. મોદી હાઈસ્કૂલના પરીક્ષા કેન્દ્રના બ્લોક નંબર 177માં બની હતી. ધોરણ 10ની ગુજરાતી (દ્વિતીય ભાષા) કોડ નંબર 13ની પરીક્ષા ચાલી રહી હતી. એક વિદ્યાર્થિની પોતાના રૂમાલમાં કાપલી સંતાડીને પરીક્ષા આપી રહી હતી. પરીક્ષા ખંડના સુપરવાઈઝર દ્વારા આ વિદ્યાર્થિનીને કાપલી સાથે ઝડપી પાડવામાં આવી હતી. તેની સામે કોપી કેસ નોંધવામાં આવ્યો છે. આ અંગે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરને લેખિતમાં જાણ કરવામાં આવી છે. જોકે, વિદ્યાર્થિનીને અન્ય પરીક્ષાઓ આપવા દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષા દરમિયાન આ બીજો કોપી કેસ છે. આ પહેલા લાલપુરના એક પરીક્ષા કેન્દ્રમાંથી પણ એક વિદ્યાર્થિની ચોરી કરતાં પકડાઈ હતી.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 5:12 pm

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગોને સહાય વિતરણ યોજનાનો શુભારંભ કર્યો:પાટણના 167 દિવ્યાંગોને મોટરાઇઝડ ટ્રાયસીકલ, જોયસ્ટીક વ્હીલચેર મળી; આત્મનિર્ભર બનશે

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે દિવ્યાંગોને સશક્ત બનાવવા માટે એક યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ મોટરાઇઝડ ટ્રાયસીકલ અને જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાના સહાય વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે, પાટણ જિલ્લામાં કુલ 167 દિવ્યાંગ લાભાર્થીઓને આધુનિક સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, પાટણ દ્વારા કરાયું હતું. યોજના અંતર્ગત, લોકોમોટર અને મલ્ટિપલ ડિસેબિલિટી ધરાવતા 123 લાભાર્થીઓને મોટરાઇઝડ ટ્રાયસીકલ આપવામાં આવી. જ્યારે સેરેબ્રલ પાલ્સી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અને મલ્ટિપલ ડિસેબિલિટી ધરાવતા 44 લાભાર્થીઓને જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયું. આ સાધનો દિવ્યાંગોને હરવા-ફરવામાં સરળતા પૂરી પાડશે અને તેમની અન્ય પરની નિર્ભરતા ઘટાડશે. લાભાર્થીઓએ આ સહાય મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, આ સાધનો મળવાથી તેઓ હવે સ્વતંત્ર રીતે અવરજવર કરી શકશે અને અન્ય પરની નિર્ભરતા ઘટશે. લાભાર્થીઓએ ગુજરાત સરકાર અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો આભાર માન્યો હતો. આ વિતરણ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ, પાટણનો સ્ટાફ હાજર રહ્યો હતો. સ્ટાફે લાભાર્થીઓને સાધનોના યોગ્ય ઉપયોગ વિશે માર્ગદર્શન આપ્યું અને અન્ય સરકારી યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા. ગુજરાત સરકાર દિવ્યાંગોના ઉત્થાન અને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે પ્રતિબદ્ધ છે. આધુનિક સાધનો દિવ્યાંગોના જીવનમાં ગતિશીલતા લાવશે અને તેમને સામાજિક રીતે વધુ સક્રિય બનાવશે. સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 5:05 pm

માતા પાસેથી 4 માસની બાળકીને રમાડવા લઈ અપહરણ, CCTV:સુરત પોલીસને માસુમ જીવજંતુઓ વચ્ચેથી મળી; 1500 કેમેરા તપાસી દંપતિને દબોચ્યું, ભિક્ષાવૃતિ માટે ઉઠાવ્યાની કબૂલાત

મહારાષ્ટ્રના નંદુરબારના એક દંપતીએ સુરતના નાનપુરા વિસ્તારમાંથી માત્ર 4 મહિનાની બાળકીનું અપહરણ કર્યું હતું. આ લોકોનો હેતુ માત્ર એટલો જ હતો કે, ખોળામાં બાળક હોય તો લોકો દયા ખાઈને વધુ ભીખ આપે. જોકે, સુરત પોલીસની સતર્કતાએ આ 'ભિખારી ગેંગ'ના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. માતાની નજર ચૂકવીને ગણતરીની સેકન્ડોમાં બાળકીને લઈ અદ્રશ્યમૂળ દાહોદના અને હાલ સુરતમાં ફૂટપાથ પર રહી મજૂરી કરતા નીતાબેન ચંદાણા પોતાની 3 માસ અને 23 દિવસની બાળકીને લઈને નાનપુરા મટન માર્કેટ પાસે બેઠા હતા. ગત 11 માર્ચના રોજ સવારે 10:15 વાગ્યાની આસપાસ એક અજાણ્યું દંપતી ત્યાં આવ્યું હતું. બાળકીને રમાડવાના બહાને તેમણે માતા પાસેથી લીધી અને નજર ચૂકવીને ગણતરીની સેકન્ડોમાં ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા હતા. માતાએ આસપાસ શોધખોળ કરી, પરંતુ કોઈ પત્તો ન લાગતા આખરે રડતી આંખે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નહોતો આરોપી પાસે ફોન કે નહોતો કોઈ બાળકનો ફોટોઆ કેસ પોલીસ માટે અત્યંત જટિલ હતો. સામાન્ય રીતે ગુનેગારોને ટ્રેક કરવા માટે પોલીસ મોબાઈલ લોકેશનનો સહારો લેતી હોય છે, પરંતુ આ કિસ્સામાં અપહરણકર્તા પાસે મોબાઈલ ફોન જ નહોતો. વધુમાં, ભોગ બનનાર માતા નિરક્ષર હોવાથી તે આરોપીઓનું સ્પષ્ટ વર્ણન આપી શકતી નહોતી. બાળકી એટલી નાની હતી કે, પોલીસ પાસે તેનો કોઈ ફોટો પણ ઉપલબ્ધ નહોતો. અજાણ્યા વિસ્તારમાં બાળકી સાથે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક કડક સૂચનાઓ આપી અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. 1500 CCTV અને 'હ્યુમન ઇન્ટેલિજન્સ'નો મહાસંગમઅઠવાલાઇન્સ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને ઝોન-4 ની ટીમોએ ઓપરેશન શરૂ કર્યું. નાનપુરાથી લઈને ઉધના દરવાજા સુધીના અંદાજે 1500 જેટલા CCTV કેમેરા ચેક કરવામાં આવ્યા હતાં. હાલમાં રમઝાન માસ ચાલતો હોવાથી મસ્જિદોની બહાર દાન-દક્ષિણાની લાઈનોમાં પણ પોલીસે સાદા ડ્રેસમાં માણસો તૈનાત કર્યા હતા. તપાસ દરમિયાન સીસીટીવીમાં જણાયું કે, આરોપીઓ બાળકીને લઈને ઉધના દરવાજા તરફ ગયા છે. પોલીસે શહેરના તમામ ઓવરબ્રિજ નીચેની વસાહતો અને રેલવે સ્ટેશનો ખૂંદી વળ્યા હતા. ટ્રેન પકડીને પોલીસ બારડોલી પહોંચી, રસાકસીભર્યો પીછોતપાસ દરમિયાન અઠવાલાઇન્સ પોલીસના સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ કડી મળી કે, આરોપીઓ ટ્રેન માર્ગે બારડોલી તરફ ગયા હોઈ શકે છે. સમય બગાડ્યા વિના, પોલીસ અધિકારીઓ જે ટ્રેન સામે આવી તેમાં બેસીને બારડોલી પહોંચ્યા હતા. બારડોલી રેલવે આઉટ પોસ્ટના જવાનોની મદદ લઈને સ્થાનિક ખબરીઓને સક્રિય કરવામાં આવ્યા. બાતમી મળી કે, એક દંપતી રેલવે પ્લેટફોર્મના છેડે આવેલી ઝાડીઓમાં છુપાયેલું છે. કીડીઓ અને જંતુઓ વચ્ચેથી માસૂમનો છુટકારોજ્યારે પોલીસની ટીમે બારડોલીમાં પ્લેટફોર્મ નજીકના વેરાન અને ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં દરોડો પાડ્યો, ત્યારે દૃશ્યો હૃદયદ્રાવક હતા. માસૂમ બાળકી જમીન પર કીડીઓ અને જીવજંતુઓ વચ્ચે પડી હતી. પોલીસે ત્વરિત તરાપ મારીને આરોપી મીના વસાવા અને સુનીલ વસાવાને દબોચી લીધા હતા. બાળકીને તાત્કાલિક સુરક્ષિત કબજે લઈ બારડોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ માટે મોકલાઈ હતી, જ્યાં તે હેમખેમ હોવાનું જાણવા મળ્યું હતું. કોણ છે આ અપહરણકર્તા દંપતી?પકડાયેલ આરોપીઓમાં મીનાબેન સુનિલ વસાવા (ઉં.વ. 35) અને તેનો પતિ સુનિલ રતીલાલ વસાવા (ઉં.વ. 32) સામેલ છે. આ દંપતી મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના જલખા ગામનું વતની છે. તેઓ સુરત અને બારડોલીના રેલવે સ્ટેશન વિસ્તારોમાં રખડતું જીવન જીવે છે અને પ્લાસ્ટિક વીણવાનું કામ કરે છે. તેમની ધરપકડ બાદ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભિક્ષાવૃત્તિ માટે માસૂમનો 'ઢાલ' તરીકે ઉપયોગ કરવાના હતાંઆરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તેઓ પ્લાસ્ટિક વીણવાની સાથે ભિક્ષાવૃત્તિ પણ કરે છે. તેમને એવું લાગ્યું કે જો તેમની સાથે નાનું બાળક હશે, તો મુસ્લિમ વિસ્તારોમાં રમઝાન દરમિયાન અને અન્ય જગ્યાએ લોકો દયા ખાઈને વધુ પૈસા (ભિક્ષા) આપશે. માત્ર થોડા વધુ રૂપિયા કમાવવાની લાલચે તેમણે એક માતા પાસેથી તેના કાળજાના ટુકડાને છીનવી લીધો હતો. આ ઘટનાએ શહેરમાં ભીખ માંગતી ગેંગ અને બાળકોના ઉપયોગ અંગે ચિંતા જગાવી છે. બારડોલીથી પોલીસે દંપતિને ઝડપી પાડ્યાંઅઠવા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ. એમ.હુધડએ જણાવ્યું હતું કે, CCTV કેમેરા ચેક કરવાનું શરૂ કર્યું. ફૂટેજ પરથી અમે એક શંકાસ્પદ મહિલાની ઓળખ કરી જે તે વિસ્તારમાંથી ગુમ હતી. અમે તે ફૂટેજ ફરિયાદીને બતાવ્યા, જેમણે તેની ઓળખની પુષ્ટિ કરી. ત્યારબાદ અમે અન્ય ઘણા સીસીટીવી કેમેરા ચેક કર્યા અને તેની હિલચાલ પર નજર રાખી. અમને જાણવા મળ્યું કે તેણીએ પોલીસથી બચવા માટે ત્રણ અલગ-અલગ રિક્ષાઓ બદલી હતી અને અનેક સાંકડી ગલીઓમાંથી પસાર થઈ હતી. તે જ સમયે, બીજી ટીમ રેલવે અને બસ સ્ટેશનો પર સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી હતી. અંતે અમે તેને ઉધના રેલવે સ્ટેશન સુધી ટ્રેસ કરી. અમારી સર્વેલન્સ ટીમના પીએસઆઈ મહિડાને માહિતી મળી હતી કે, વર્ણન મુજબની એક મહિલા ટ્રેનમાં બાળક સાથે જોવા મળી છે. અમે તેનો પીછો કર્યો અને જાણવા મળ્યું કે તે બારડોલી ગઈ હતી. અમારી સર્વેલન્સ ટીમના પીએસઆઈ અને અન્ય સ્ટાફ મેમ્બરોને બારડોલી મોકલવામાં આવ્યા હતા. અમે રેલવે પોલીસ સાથે સંકલન કર્યું અને અંતે શંકાસ્પદ સુનિલ રતિલાલ વસાવા અને મીના વસાવાની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, બાળકનું અપહરણ કરવાનો તેમનો ઈરાદો તેને ભીખ માંગવા માટે ઉપયોગમાં લેવાનો હતો.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 5:04 pm

દાહોદમાં આંગણવાડીના કામોમાં વેઠ ઉતારનારાઓની ખેર નથી,કલેક્ટર યોગેશ નિરગુડે લાલઘૂમ:બાળકોને સમયસર દૂધ-નાસ્તો આપવા તાકીદ, પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા આદેશ

દાહોદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને આઈસીડીએસ (ICDS) વિભાગની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાની આંગણવાડીઓની વર્તમાન સ્થિતિ અને બાંધકામ હેઠળના પ્રોજેક્ટ્સ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આઈસીડીએસ વિભાગ દ્વારા કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું, જેમાં ચાલી રહેલા, પૂર્ણ થયેલા અને ભવિષ્યના આયોજનોની સમીક્ષા થઈ. કલેક્ટર નિરગુડેએ આંગણવાડીના બાંધકામમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન કરવા કડક સૂચના આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આંગણવાડીનું સ્ટ્રક્ચર મજબૂત અને ટકાઉ હોવું જોઈએ. બાળકોને પીવાનું શુદ્ધ પાણી, પંખા, લાઈટ અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓ ઉચ્ચ ગુણવત્તાની મળવી જ જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે, જો કામગીરીમાં કોઈ પ્રશ્નો નડતા હોય તો તેનું ત્વરિત નિરાકરણ લાવવું જોઈએ, પરંતુ સુવિધામાં કોઈ ખામી રહેવી ન જોઈએ. બાળકોને સમયસર પૌષ્ટિક દૂધ, નાસ્તો અને જમવાનું મળી રહે તે સુનિશ્ચિત કરવા પણ આદેશો અપાયા હતા. કલેક્ટરે બાળકોની હાજરી વધારવા માટે આંગણવાડીઓમાં વિવિધ બાળ પ્રવૃત્તિઓ કરાવવા પર ભાર મૂક્યો હતો. આંગણવાડીનું વાતાવરણ એવું બનાવવું જોઈએ કે વધુમાં વધુ બાળકો ત્યાં આવવા માટે પ્રેરાય.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પ્રોગ્રામ ઓફિસર ઈરા ચૌહાણ સહિત તમામ સીડીપીઓ (CDPO) ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓને સરકારી યોજનાઓનો સીધો લાભ બાળકો સુધી પહોંચે તે માટે સતત મોનિટરિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 5:02 pm

કુલપતિની ચેમ્બરમાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ:રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયેલી ઝપાઝપીમાં એક વ્યક્તિને સામાન્ય ઇજા, પોલીસ દ્વારા NSUIનાં આગેવાનોની અટકાયત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી ભરતી પ્રક્રિયાને લઈને વિવાદો ચાલી રહ્યા છે, પરંતુ શુક્રવારે આ વિવાદે હિંસક વળાંક લીધો હતો. યુનિવર્સિટી કેમ્પસ જાણે રણમેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભરતી પ્રક્રિયામાં અન્યાય અને ટેકનિકલ ખામીના મુદ્દે રજૂઆત કરવા પહોંચેલા NSUI અને ત્યાં અગાઉથી હાજર ABVPના કાર્યકરો વચ્ચે કુલપતિ ચેમ્બરમાં જ ઉગ્ર ઘર્ષણ અને ધક્કામુક્કી થઈ હતી. આ હોબાળામાં એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી, જોકે એક તબક્કે પરિસ્થિતિ એટલી હદ સુધી વણસી હતી કે કુલપતિએ પોતે જીવ બચાવવા ખૂણામાં ભરાઈ જવું પડ્યું હતું. આ ઝપાઝપીનાં વિડીયો પણ વાયરલ થયા છે. ભરતીમાં અન્યાયના મુદ્દે રજૂઆત અને ઘર્ષણસૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બિન-શૈક્ષણિક કર્મચારીઓની ભરતી માટે જાહેરાત ક્રમાંક RC/09 થી 44/2025 બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં અંદાજે 146 જેટલા ઉમેદવારો એવા છે જેમણે ફી ભરી દીધી હોવા છતાં ટેકનિકલ જટિલતાને કારણે 'Final Submit' કરવાનું રહી ગયું હતું. યુનિવર્સિટીએ આ ઉમેદવારોને પરીક્ષા માટે અયોગ્ય ઠેરવ્યા હોવાથી NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં કાર્યકરો કુલપતિને આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. બીજી તરફ, રાજ્યની યુનિવર્સિટીઓમાં રોસ્ટર રજીસ્ટરની અમલવારીમાં ભંગ થતો હોવાનો ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યો છે. NSUIનો દાવો છે કે 21-1-1996 અને 7-2-2019ના પરિપત્ર મુજબ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત જગ્યાઓ ભરવામાં આવી નથી. ઉદાહરણ તરીકે, રજીસ્ટ્રાર અને તેની સમકક્ષ કેડરમાં રોસ્ટર ક્રમ 7 અને 14 પર ST ઉમેદવાર હોવા જોઈએ, પરંતુ ત્યાં ઓપન કેટેગરીના ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી છે. આમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતીમાં રોસ્ટર રજિસ્ટરનું પાલન નહીં કરીને sc/st/obc ઉમેદવારો સાથે કરેલ અન્યાય અને ઓનલાઇન ફોર્મ માં સામાન્ય ભૂલ ના કારણે 146થી વધારે ઉમેદવારો ના ફોર્મ રદ કરી અન્યાય કરવામાં આવ્યો હોવાના આરોપ સાથે આજે ગુજરાત NSUI દ્વારા કુલપતિનો વિરોધ કરી ઉમેદવારોને યોગ્ય ન્યાય મળે તે માટે ઉગ્ર રજૂઆત કરવા માં આવી હતી. જ્યારે NSUI ના આગેવાનો આ પડતર પ્રશ્નોની રજૂઆત કરવા કુલપતિની ચેમ્બરમાં પ્રવેશ્યા, ત્યારે ત્યાં ABVPના કાર્યકરો પણ હાજર હતા. NSUIનો આરોપ છે કે તેમણે અગાઉથી સમય લીધો હોવા છતાં કુલપતિએ જાણીજોઈને ABVPના કાર્યકરોને બોલાવ્યા હતા અને દોઢ કલાક સુધી બેસાડી રાખ્યા હતા. આ દરમિયાન બંને જૂથના કાર્યકરો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી જે જોતજોતામાં મારામારી સુધી પહોંચી ગઈ હતી. મુદ્દાને દબાવા માટે કુલપતિ ના ઈશારે અને ABVPના ગુંડા તત્વો દ્વારા NSUIના કાર્યકર સાથે ઘર્ષણ કરવામાં આવ્યું હતું. બીજીતરફ ABVPના મતે તેઓ શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા હતા ત્યારે NSUIના કાર્યકરોએ આવીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા 146 કરતા વધુ વિદ્યાર્થીઓને મેઈલ કરીને જાણ કરવામાં આવી છે કે તેઓ ફાઈનલ સબમિટ કરવાનું ભૂલી ગયા હોવાથી પરીક્ષા માટે પાત્ર નથી. જોકે, વિદ્યાર્થીઓનો દાવો છે કે તેઓએ તમામ વિગતો ભરી છે અને ફી પણ ચૂકવી છે. યુનિવર્સિટીની જટિલ પ્રક્રિયાને કારણે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો હોવાથી આ મામલે કુલપતિને રજૂઆત કરવામાં આવી છે. વધુમાં, નરેન્દ્રસિંહ સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે આ ભરતીમાં સરકારના અનામત નીતિ અને રોસ્ટર ક્રમનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી. આના કારણે SC, ST અને OBC વર્ગના વિદ્યાર્થીઓને અન્યાય થતો હોવાનું જણાવી તેમણે ઉમેર્યું હતું કે જો નીતિ-નિયમો મુજબ ભરતી કરવામાં નહીં આવે તો NSUI આગામી સમયમાં મુખ્યમંત્રી અને આયોગ સુધી રજૂઆત કરશે. તેમજ આંદોલન પણ ચાલુ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,આ ધક્કામુક્કી અને ઝપાઝપીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં કુલપતિ ડરના માર્યા ચેમ્બરના એક ખૂણામાં છુપાઈ ગયેલા જોવા મળે છે. યુનિવર્સિટીના ઇતિહાસમાં કુલપતિની હાજરીમાં જ તેમની ચેમ્બરમાં આવું ઘર્ષણ થયું હોય તેવી સંભવત: આ પ્રથમ ઘટના છે. હાલ NSUI એ સ્પષ્ટ કર્યું છે કે જો પરીક્ષામાં બાકી રહી ગયેલા 146 ઉમેદવારોને બેસવા દેવામાં નહીં આવે અને રોસ્ટર મુજબ ભરતીની નવી જાહેરાત નહીં અપાય, તો તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે. આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ અને મુખ્યમંત્રીને પણ જાણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:57 pm

LPG સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની પ્રેસ કોન્ફરન્સ: ઓઇલ-ગેસનો પૂરતો સ્ટોક, કાળાબજારીઓ પર થશે કડક કાર્યવાહી

Gas Cylinder Shortage : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ઊર્જા સંકટની આશંકાઓ વચ્ચે ભારતમાં ગેસ સિલિન્ડરની અછત અંગે અનેક અફવાઓ ઉડી રહી છે. આ સ્થિતિ સ્પષ્ટ કરવા માટે પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી દેશવાસીઓને ગભરાટમાં આવીને 'પૅનિક બુકિંગ' ન કરવા માટે અપીલ કરી છે. બુકિંગમાં અચાનક ઉછાળો સુજાતા શર્માએ જણાવ્યું કે, 'દેશમાં સરેરાશ દરરોજ 50 થી 55 લાખ સિલિન્ડરનું બુકિંગ થતું હોય છે, પરંતુ અફવાઓને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં આ આંકડો વધીને 75-76 લાખ સુધી પહોંચી ગયો છે. પુરવઠો પૂરતો છે, માત્ર લોકો જરૂર કરતા વધારે બુકિંગ કરી રહ્યા હોવાથી સિસ્ટમ પર દબાણ વધી રહ્યું છે.

ગુજરાત સમાચાર 13 Mar 2026 4:57 pm

ઈરાન યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રી જયશંકર અને અરાઘચી વચ્ચે ચોથી વખત વાતચીત, બંને દેશો સહયોગ વધારવા સંમત

India Iran Trade: વિદેશ મંત્રી એસ જયશંકરે ઈરાની સમકક્ષ સૈયદ અબ્બાસ અરાઘચી સાથે વાત કરી, હાલ પશ્ચિમ એશિયામાં અમેરિકા ઈઝરાયલ અને ઈરાન યુદ્ધને કારણે ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો છે. તે વચ્ચે ભારતના વિદેશ મંત્રીએ ચોથી વખત ઈરાનના વિદેશ મંત્રી સાથે ગહન ચર્ચા કરી, ઉલ્લેખનીય છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ભારતના 28 વેપારી જહાજ ફસાયેલા છે, જેને સુરક્ષિત લાવવા અને ઈંધણની તંગી ન સર્જાય તે માટે નવી દિલ્હી દ્વારા સતત પ્રયાસ થઈ રહ્યા છે. યુદ્ધ દરમિયાન ચોથી વખત વાતચીત ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી વચ્ચે ગત રાત્રે ફોન પર વાતચીત થઈ હતી. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈનું મોત થયું હતું, જે બાદ જયશંકરે અરાઘચી સાથે વાત કરી હતી.

ગુજરાત સમાચાર 13 Mar 2026 4:51 pm

પાટણ નગરપાલિકાએ ગેરકાયદે પાણી પ્લાન્ટ સીલ કર્યો:હંસાપુર સીમમાં ગૌચરની જમીન પર નગરપાલિકાના સદસ્યનો સાગરીત પાણીનો વેપાર કરતો હતો

પાટણ નગરપાલિકાએ હંસાપુર સીમમાં ગૌચરની જમીન પર ચાલતા ગેરકાયદે પાણીના પ્લાન્ટને સીલ કર્યો છે. આ પ્લાન્ટ નગરપાલિકાની પાણીની ટાંકીમાંથી સીધું ગેરકાયદે કનેક્શન મેળવીને ચલાવવામાં આવતો હતો. પાલિકાના સદસ્ય રમીલાબેન ઠાકોરના સાગરીત દ્વારા આ પ્લાન્ટ ચલાવી પાણીનો વેપાર થતો હોવાનું ખુલ્યું હતું. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે આ કાર્યવાહીની વિગતો આપતા જણાવ્યું કે, હંસાપુરની સીમમાં આ પાણીનો પ્લાન્ટ નગરપાલિકાનું ગેરકાયદેસર પાણીનું કનેક્શન સીધું ટાંકીમાંથી લઈને ચલાવતો હતો. આ પ્લાન્ટ દ્વારા નગરપાલિકાના પાણીનો વેપાર કરવામાં આવતો હતો. અગાઉ ઓક્ટોબર મહિનામાં નગરપાલિકા દ્વારા આ જગ્યા ગૌચરની હોવાથી તેને ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. આ પ્લાન્ટ ચલાવનાર વ્યક્તિ નગરપાલિકાના સદસ્ય રમીલાબેન ઠાકોરના સાગરીત હોવાનું સામે આવ્યું છે. રમીલાબેન મારફતે કારોબારી સમિતિમાં આ ગ્રામ પંચાયત બાબતનો ઠરાવ મંજૂર કરાવવામાં આવ્યો હતો. જોકે, આ ઠરાવને પ્રાદેશિક કમિશનર કચેરી (RCM) માં પડકારવામાં આવ્યો હતો. તપાસના અંતે આ જગ્યા ગૌચરની હોવાનું સાબિત થતા RCM દ્વારા આ ઠરાવને કાયમી અસરથી નામંજૂર કરી દેવામાં આવ્યો હતો. આ જમીન નગરપાલિકાની માલિકીની હોવાથી અને તેના પર ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાથી પાલિકા તંત્ર દ્વારા સીલિંગની કડક કાર્યવાહી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:46 pm

ખારેશ્વર મહાદેવ મંદિર પાસે જૂની અદાવતમાં બે ભાઈઓ પર હુમલો:આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાવ્યાનો ખાર રાખીને લાકડા-ધોકાથી હુમલો કર્યો, પરિવારજનોએ વચ્ચે આવી બંનેને છોડાવ્યા

ભાવનગર શહેરના કરચલિયા પરા વિસ્તારમાં બે દિવસ પૂર્વે જૂની અદાવતના કારણે ખારેશ્વર મહાદેવ મંદિર પાસે બે ભાઈઓ પર છરી અને લાકડાના ધોકાથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં એક ભાઈને માથામાં હેમરેજ તેમજ હાથ-પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ અંગે ગંગાજળિયા પોલીસે ચાર શખ્સોને ઝડપી લઈ આગળની તપાસ શરૂ કરી છે. થોડા દિવસ પૂર્વે તેમના વિરુદ્ધ કરેલી ફરીયાદને લઈને ઝઘડો કર્યો ગંગાજળિયા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના કરચલિયા પરા શિવનગરમાં ભાંગના કારખાના પાસે રહેતા શાંતિભાઈ ઉર્ફે સાજન ધીરુભાઈ પરમાર (ઉ.વ. 27) એ બે દિવસ પૂર્વે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તથા તેમનો ભાઈ જીતેશ બપોરના સમયે સ્કૂટર પર વૈશાલી સિનેમાથી ઘરે જવા નીકળ્યા હતા. તે વેળાએ ઘરની નજીક ખારેશ્વર મહાદેવ મંદિર પાસે પહોંચતા ત્યાં બેઠેલા આકાશ ઉર્ફે બકો રમેશભાઈ રાઠોડ, જીતેશ ઉર્ફે કાળીયો લાખાભાઈ મકવાણા, સમીર ઉર્ફે સંતોષ રાજુભાઈ વાઘેલા અને આનંદ તનસુખભાઈ રાઠોડે સ્કૂટર આડે ઉભા રહી બંને ભાઈઓને અટકાવ્યા હતા, અને જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં આકાશ ઉફે બકો તથા જીતેશ ઉર્ફે કાળીયાએ અપશબ્દો બોલી ને થોડા દિવસ પૂર્વે તેમના વિરુદ્ધ કરેલી ફરીયાદને લઈને ઝઘડો કર્યો હતો, તે અમારા વિરુદ્ધ શું કામ ફરિયાદ કરી તેવું કહી તમામ શખસોએ ઉશ્કેરાઈ જઈ બંને ભાઈઓ પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી, જેમાં શાંતિભાઈને કાન પર છરીનો ઘા લાગ્યો હતો અને બીજો ઘા ડાબા હાથ પાસે વાગ્યો હતો. બંને ભાઈઓએ દેકારો કરતા પરિવારજનોએ દોડી આવી બચાવ્યાઆ દરમિયાન શાંતિભાઈનો ભાઈ જીતેશ વચ્ચે પડતા અન્ય શખ્સોએ લાકડાના ધોકા વડે તેના પર પણ હુમલો કર્યો હતો. જીતેશ ઉર્ફે કાળીયાએ માથા અને કાનના ભાગે ધોકાના ઘા મારતા શાંતિભાઈ પડી ગયા હતા, જ્યારે સમીર ઉર્ફે સંતોષ તેમજ આનંદ નામના ઈસમોએ પગના ભાગે તેમજ હાથ પર ધોકાના ઘા માર્યા હતા. સાથે જ હુમલાખોરોએ તેમના ભાઈ જીતેશને પણ આડેધડ માર માર્યો હતો. બંને ભાઈઓએ દેકારો કરતા પરિવારજનોએ દોડી આવી તેમને વધુ મારથી બચાવ્યા હતા, જેથી હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં શાંતિભાઈને માથામાં હેમરેજ તેમજ હાથ-પગમાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે જીતેશને પણ ઈજા થતા ઓપીડી સારવાર આપવામાં આવી હતી. જે બાબતે ફરિયાદ થતા તેના આધારે ગંગાજળિયા પોલીસે બે દિવસ પૂર્વે આકાશ ઉર્ફે બકો, જીતેશ ઉર્ફે કાળીયો, સમીર ઉર્ફે સંતોષ અને આનંદ સામે BNS કલમ 109(1), 115(2), 117(2), 118(2), 352, 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીજે બનાવના પગલે ગંગાજળિયા પોલીસે બન્ને ભાઈઓ પર હુમલો કરનાર તમામ શખસો આકાશ ઉર્ફે બકો રમેશભાઈ રાઠોડ, જીતેશ ઉર્ફે કાળીયો લાખાભાઈ મકવાણા, સમીર ઉર્ફે સંતોષ રાજુભાઇ વાઘેલા, આનંદ તનસુખભાઈ રાઠોડ તમામ ભાવનગર રહેવાસીઓને ગણતરીના દિવસમાં ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:44 pm

અકવાડાના ચન્દ્રોદય પાર્કમાં તસ્કરો ત્રાટક્યા:ત્રણ બંધ મકાનમાં તાળા તોડી 2 લાખથી વધુ રોકડની ચોરી

ભાવનગર શહેરના અકવાડા વિસ્તારમાં આવેલી ચન્દ્રોદય પાર્ક સોસાયટીમાં તસ્કરો ત્રાટકતા ત્રણ મકાનને નિશાન બનાવી રોકડ રકમની ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. મકાન માલિકો પરિવાર સાથે બહાર ગયેલા હોવાનો લાભ લઈ અજાણ્યા શખ્સોએ તાળા તોડી ઘરમાં ઘૂસી સામાન વેરવિખેર કરી ત્રણ મકાનમાંથી 2 લાખથી વધુ રોકડ રકમ ચોરી કરી હતી. સમગ્ર મામલે ઘોઘારોડ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રસોડામાં સ્ટીલના ડબ્બામાં રાખેલા પૈસા ગાયબ હતાંઘોઘારોડ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, અકવાડા ચન્દ્રોદય પાર્કમાં રહેતા મયુર ગનુભાઈ હળવદીયાએ ફરિયાદ નોંધાવી છે કે 9 માર્ચના રોજ કુંભારવાડામાં રહેતા તેમના સગાના દીકરીની સગાઈના પ્રસંગે તેઓ માતા-પિતા સાથે અકવાડા સ્થિત પોતાના મકાનને તાળું મારી કુંભારવાડા ગયા હતા. પ્રસંગ પૂર્ણ થયા બાદ ત્યાં જ રોકાઈ ગયા હતા. દરમિયાન 11 માર્ચની વહેલી સવારે પડોશીએ ફોન કરીને જાણ કરી હતી, કે તેમના ઘરના દરવાજે લગાવેલું તાળું તૂટેલું છે અને અંદરનો સામાન વેરવિખેર હાલતમાં પડ્યો છે. ત્યારબાદ મયુરભાઈ પરિવાર સાથે તાત્કાલિક અકવાડા ચન્દ્રોદય પાર્ક સ્થિત પોતાના ઘરે પહોંચ્યા હતા, જ્યાં ઘરનું તાળું તૂટેલું અને સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તપાસ કરતાં રસોડામાં સ્ટીલના ડબ્બામાં રાખેલા આશરે રૂ.30,000 રોકડ રૂપિયા ચોરાઈ ગયેલા હોવાનું સામે આવ્યું હતું. અન્ય બે ઘરમાં પણ ચોરી થયાનું સામે આવ્યુંઆ દરમિયાન સોસાયટીના ગેટ નં.3 પ્લોટ નં.44 માં રહેતા મનસુખમકવાણાએ જણાવ્યું હતું કે, તેમના ઘરમાં પણ તાળું તોડી ચોરી કરવામાં આવી હતી અને ઇલેક્ટ્રિક સામાન ખરીદવા માટે મંદિરના ખાનામાં રાખેલા રૂ.1,25,000 લાખ ગુમ થયા હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત ગેટ નં.2 પ્લોટ નં.465 માં રહેતા અંકિત વાઘેલાના ઘરના દરવાજાનો મીજાગરો તોડી ઘરમાં ઘૂસી સામાન વેરવિખેર કરાયો હતો અને જેમની ડાયાલિસીસની સારવાર માટે સેટીમાં રાખેલા રૂ.70,000 પણ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આમ સોસાયટીના ત્રણ મકાનમાં ચોરીની ઘટના સામે આવતા ઘોઘારોડ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ BNS કલમ 331(3), 331(4) અને 305 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:27 pm

વ્હાઇટ LED લાઇટ લગાવનાર સામે RTOની તવાઈ:2 મહિનામાં 1021 સામે કાર્યવાહી અને 10 લાખથી વધુનો દંડ વસૂલ્યો, નિયમ વિરુદ્ધ લાઇટ લગાવનારના લાયસન્સ સસ્પેન્ડ કરાશે

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં વધારો થતો હોવાથી રાજ્ય વાહન વ્યવહાર કમિશનરે વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતી વ્હાઇટ એલઈડી લાઈટ લગાવેલા ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. જે બાદ અમદાવાદ RTO ઇન્સ્પેક્ટર દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે. દરરોજ રાત્રે RTO અધિકારીઓ સ્પેશિયલ ડ્રાઈવ યોજી વાહન ચેકીંગ કરી કાર્યવાહી કરી રહ્યા છે. આ ડ્રાઈવ દરમિયાન 2025માં જેટલો દંડ અને કાર્યવાહી કરાઈ હતી તેટલી કાર્યવાહી અને એટલો દંડ માત્ર 3 મહિનામાં વસૂલવામાં આવ્યો છે. જાન્યુઆરીથી લઈને 10 માર્ચ સુધી 1021 સામે કાર્યવાહી કરી 10 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. વ્હાઇટ લાઈટના કારણે લોકોની આંખોને ઘણું નુકશાન પહોંચતું હોય છેછેલ્લા ઘણા સમયથી વાહનોમાં અલગ જ પ્રકારની લાઇટો લગાવવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. નિયમ વિરોધ લગાવવામાં આવતી વ્હાઇટ લાઈટના કારણે લોકોની આંખોને ઘણું નુકશાન પહોંચતું હોય છે. વ્હાઈટ બલ્બ લગાવવામાં આવેલા વાહનોમાંથી તીવ્ર પ્રકાશવાળી લાઈટના કારણે સામેથી અન્ય વાહન ચાલકોની આંખો અંજાઈ જતી હોય છે. જેના કારણે અકસ્માતની પણ ઘટના બનતી હોય છે. જેથી અમદાવાદ RTO દ્વારા ઝુંડાલ સર્કલ, એસજી હાઈવે, કાલુપુર, સુભાષ બ્રિજ સર્કલ સહિતના વિસ્તારમાં રાત્રે ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. એક વર્ષની કાર્યવાહીનો દંડ બે મહિનામાં જ વસૂલાયોનિયમ વિરુદ્ધની વ્હાઇટ એલઈડી લાઈટ લગાવનાર સામે વર્ષ 2025માં અમદાવાદ RTO દ્વારા 1090 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. નિયમ વિરુદ્ધ તીવ્ર પ્રકાશવાળી વ્હાઈટ બલ્બ લગાવેલા હોવાથી 10.90 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. જો કે તે બાદ પણ અમદાવાદીઓ નિયમનું પાલન કરવામાં ઉદાસીનતા રાખી રહ્યા હતા. જેથી હવે ડ્રાઈવ યોજીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક વર્ષના જેટલી કાર્યવાહી દંડ વસૂલવામાં આવ્યો હતો એટલો જ દંડ 2 મહિના અને 10 દિવસમાં વસૂલાયો છે. જાન્યુઆરીથી 10 માર્ચ સુધી 1021 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમજ 10 લાખથી વધુનો દંડ પણ વસુલ કરવામાં આવ્યો છે. તેમજ હવે જે લોકો નિયમ વિરુદ્ધ વ્હાઇટ એલઈડી લાઇટ લગાવી રહ્યા છે તેમની પણ યાદી તૈયાર કરવામાં આવી છે અને તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ કરવાની તૈયારી કરવામાં આવી છે. નિયમ વિરુદ્ધ વ્હાઇટ લાઇટ લગાવેલા 1021 વાહનચાલકો સામે કાર્યવાહીઅમદાવાદ RTO નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે, અત્યારે અમદાવાદ RTO દ્વારા જુદા-જુદા વિસ્તારમાં નિયમ વિરુદ્ધની LED લાઇટને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઝુંડાલ સર્કલ, એસ.જી હાઈવે, કાલુપુર, સુભાષ બ્રિજ સહિતના વિસ્તારમાં ડ્રાઈવ પણ ચાલી રહી છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં 1021 જેટલા નિયમ વિરુદ્ધ વ્હાઇટ લાઇટ લગાવેલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 10 લાખથી પણ વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે તેમજ હજુ પણ આ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે. પોલીસ અને RTOની ટીમ દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવશેવધુમાં નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે, તેમજ અત્યારે જે લોકો નિયમ વિરુદ્ધ વ્હાઇટ લાઇટ લગાવી રહ્યા છે. તેમનો ડેટા એકત્ર કરવામાં આવ્યો છે તેમજ હવે થોડા દિવસમાં પોલીસ અને RTOની ટીમ દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવશે. ચેકીંગ દરમિયાન નિયમ વિરુદ્ધ વ્હાઇટ LED લાઇટ લગાવવામાં આવતી હોવાનું સામે આવશે તેમનું લાયસન્સ સસ્પેન્ડ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે જે લોકો નિયમ વિરુદ્ધની વ્હાઈટ LED લગાવી રહ્યા છે, તેમની સામે એક હજાર રૂપિયાનો ચલણ ઇશ્યુ કરવામાં આવે છે તેમજ જો લાઈટનું વધારે ફોકસ સામે આવે છે તો તેમની સામે 5000 રૂપિયા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:23 pm

વડોદરાની 16 સરકારી કચેરીઓનો 18 કરોડનો વેરો બાકી:સિટી પોલીસ સ્ટેશનના 5.39 કરોડ તો ગ્રામ્ય પોલીસ મથક પાસે ફંડ નથી, કોઈએ સરભર કરવા કહ્યું તો કોઇએ ગ્રાન્ટ આવે પછી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા માર્ચ અંત સુધીમાં વેરા વસૂલાત માટે કડકાઈ કરવામાં આવી રહી છે. વડોદરા શહેરની વિવિધ સરકારી કચેરીઓનો જ કરોડો રૂપિયાનો વેરો બાકી હોવાથી પાલિકાએ વેરા વસૂલાત માટે કચેરીઓનો સંપર્ક કરવાની શરૂઆત કરી છે અને માર્ચ અંત સુધીમાં તમામ વેરો ભરવા માટે સૂચના આપવામાં આવી છે. 40 કરોડમાંથી 20 કરોડ વસૂલ્યાવડોદરા શહેરની વિવિધ સરકારી કચેરીઓના 40 કરોડનો વેરો બાકી હતો. જેમાં પાલિકાએ વસૂલાત શરૂ કરતા અંદાજે 20 કરોડથી વધુનો વેરો વસૂલી દીધો છે અને હવે 16 કચેરીઓનો 18,81,74,389 વેરો બાકી પડે છે. જે વસૂલાત માટે પાલિકા કચેરી ખાતેથી વિવિધ કચેરીઓનો સંપર્ક સાધવામાં આવ્યો છે. સિટી પોલીસ મથકનો સૌથી વધુ વેરો બાકીવિવિધ સરકારી કચેરીઓના કરોડો રૂપિયા વેરો બાકી પડે છે. જેમાં સૌથી વધુ વેરો વડોદરા શહેર પોલીસ મથકનો બાકી છે. વડોદરા સિટી પોલીસ સ્ટેશનનો રૂ. 5,39,70,984 નો વેરો બાકી છે. જો કે આ વેરો સરભર કરવા માટેની અરજી આપવામાં આવી છે. પાલિકાએ પણ સિટી પોલીસ સ્ટેશનને કોઈક નાણાં ચૂકવવાના છે જેની સામે આ વેરો સરભર કરવા અરજી આપવામાં આવી છે. કચેરીઓ ગ્રાન્ટ આવ્યા બાદ વેરો ભરશેરેવન્યુ વિભાગના અધિકારી સુરેશ તુવેરે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દરકે કચેરીઓમાં માર્ચ અંત સુધીમાં ગ્રાન્ટ આવે છે, ત્યાર બાદ તેઓ આ વેરો ભરે છે, ત્યારે મોટાભાગની કચેરીઓ ગ્રાન્ટ આવતાની સાથે જ વેરો ભરી દેશે. હાલ અમારી કચેરી ખાતેથી તેઓની સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને વેરો નહીં ભરવાના કારણો જાણવામાં આવી રહ્યા છે. વડોદરા ગ્રામ્ય પોલીસ મથક પાસે ફંડ નથીપાલિકા કચેરી દ્વારા વિવિધ કચેરીઓનો સંપર્ક કરી વેરો ભરવામાં કેમ નથી આવતો તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા ગ્રામ્ય પોલીસે ફંડ નથી તેમ જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા ગ્રામ્ય પોલીસ મથકના રૂ. 23,59,656 મિલકત વેરો બાકી છે. કઈ કચેરીનો કેટલો વેરો બાકી

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:21 pm

મોઢા પર મસો-ગુટખા ખાવાની આદતથી આરોપી 20 વર્ષે પકડાયો:વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડ્રાઇવર, ડિલીવરી બોય, ગ્રાહક બની મુંબઈમાં 3 દિવસ ફરી; જાણો કેવી રીતે ઝડપાયો

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા હાંસલ કરી છે. વડોદરા શહેરમાં સગીરાના અપહરણના કેસમાં છેલ્લા 20 વર્ષથી પોલીસની પકડથી નાસતા ફરતા એક આરોપીની મહારાષ્ટ્રના વસઈ-વિરાર વિસ્તારમાંથી ધરપકડ કરી છે. આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફૂડ ડિલિવરી બોય, ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર તેમજ સામાન્ય ગ્રાહકનો વેશ ધારણ કર્યો હતો અને પોતાની ઓળખ છુપાવી રાખીને તેને શોધી કાઢ્યો હતો. આરોપી ફિરોજખાન મુસ્તાકખાન પઠાણ સામે વડોદરા શહેરનાના મકરપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2006માં ફરિયાદ નોંધાઈ હતી. આરોપી મરઘીની દુકાન ચલાવતો હતો. તેની દુકાનની સામે રહેતી એક સગીરાને લલચાવી-ફોસલાવીને લગ્ન કરવાના ઇરાદાથી અપહરણ કરી લઈ ગયો હતો. ગુનો નોંધાતાં આરોપી ફરાર થઈ ગયો હતો અને છેલ્લા 20 વર્ષથી પોલીસની ધરપકડથી બચતો રહ્યો હતો. આરોપી મહારાષ્ટ્રમાં હોવાની પુષ્ટિ થઈ હતીવડોદરા ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. બી. એસ. વાળાની ટીમે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. ટેકનિકલ માહિતી અને હ્યુમન સોર્સના આધારે તપાસ દરમિયાન આરોપી વસઈ-વિરાર વિસ્તારમાં હોવાની પુષ્ટિ થઈ હતી. આરોપીના મોઢા પર મસો હતો અને ગુટખા ખાવાનો આદી હતોમુંબઈનો વસઈ-વિરાર એક ગીચ વિસ્તાર છે, જ્યાં ઓફિસો અને ઔદ્યોગિક વસાહતો વધુ છે. આરોપીને ઓળખવા માટે ટીમે ખાસ યુક્તિ અપનાવી હતી. આરોપીના મોઢા પર એક મસો હતો અને તે ગુટખા ખાવાની આદત ધરાવતો હતો અને સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. આ મર્યાદિત માહિતીના આધાર પોલીસેે તપાસ શરૂ કરી હતી. ‘ક્રાઇમ બ્રાન્ચે 3 દિવસ સુધી રેકી કરી હતી’વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેમ્પો ડ્રાઇવર, ફૂડ ડિલિવરી બોય અને ગ્રાહકનો વેશ ધારણ કરીને 3 દિવસ સુધી ખાનગી રીતે રેકી કરી હતી. આ દરમિયાન આરોપી ફિરોજખાન મુસ્તાકખાન પઠાણ (ઉંમર.55 વર્ષ, હાલનું રહેઠાણ: એકરોપોલીસ એપાર્ટમેન્ટ, વિરાર વેસ્ટ, જિલ્લો પાલઘર, મહારાષ્ટ્ર, મૂળ રહેઠાણ: સલીમપુર ગામ, તાલુકો-ખાગા, થાના-ખાગા, જિલ્લો ફતેહપુર, ઉત્તરપ્રદેશ) વિરાર ઇસ્ટ વિસ્તારમાં 'ઈન્ફિનિટી સ્ક્વેર' નામની બિલ્ડિંગમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાનું શોધી કાઢ્યું હતું. યોગ્ય સમયે કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપીને મકરપુરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે, જ્યાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. કેવી રીતે પાર પાડ્યું ઓપરેશનવડોદરા ક્રાઇમ બ્રાન્ચ પાસે આરોપીનો કોઈ લેટેસ્ટ ફોટો નહોતો. માત્ર 20 વર્ષ જૂની વિગતો હતી. વર્ણનમાં એટલી ખબર હતી કે એના ગાલ પર મસો છે અને એને ગુટખા ખાવાની આદત છે. પોલીસે 3 દિવસ સુધી ત્યાં વોચ ગોઠવી હતી અને અલગ-અલગ ટીમો બનાવી હતી. એક ટીમને ફૂડ ડિલિવરી બોય બનાવીને મોકલ્યો હતો, જેને એડ્રેસ પૂછવાના બહાને બિલ્ડિંગોમાં તપાસ કરી હતી. એક પોલીસ કર્મીને ને ટેમ્પો ડ્રાઇવર બનાવીને GIDC વિસ્તારમાં મોકલ્યો હતો અને એક પોલીસકર્મી ગ્રાહક બનીને ગયો હતો. તેઓ હિન્દી ભાષામાં જ લોકો સાથે વાતચીત કરતા જેથી કોઈને શંકા ન જાય. 3 દિવસમાં 100 કિમી ફરીને આરોપીને દબોચ્યોવિરાર ઈસ્ટમાં 'ઈન્ફિનિટી સ્ક્વેર' નામનું મોટું કોમર્શિયલ બિલ્ડિંગ છે, ત્યાં એક સિક્યુરિટી ગાર્ડ બેઠો હતો. એના ગાલ પર મસો હતો અને એ વિમલ ખાતો હતો. પોલીસ કર્મીએ ગ્રાહક બનીને એને વાતચીતમાં પરોવ્યો અને પૂછ્યું કે તમે ગુજરાતમાં રહેતા હતા? પછી નામ પૂછતા એણે સાચું નામ 'ફિરોઝ' જણાવ્યું હતું. એનું આધારકાર્ડ ચેક કરતા ખાતરી થઈ ગઈ કે આ જ આરોપી છે. ત્રણ દિવસમાં 100 કિમી ફરીને આરોપીને દબોચી લીધો હતો.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:19 pm

અરવલ્લી પોલીસે શામળાજીમાં ₹9.15 કરોડનો દારૂ નાશ કર્યો:મોડાસા ડિવિઝનના 6 પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલા જથ્થા પર રોલર ફેરવાયું

અરવલ્લી પોલીસે શામળાજી ખાતે ₹9.15 કરોડનો વિદેશી દારૂનો જથ્થો નાશ કર્યો છે. આ દારૂ મોડાસા ડિવિઝનના છ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો હતો. નિયમો અનુસાર આ દારૂ પર રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો. શામળાજી સ્થિત જીએસટી મેદાનમાં દારૂ નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક (DySP) અને મોડાસા પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કુલ 304 પ્રોહિબિશન ગુનાઓમાં ઝડપાયેલો આ દારૂનો જથ્થો મેદાનમાં ગોઠવવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લો રાજસ્થાન સરહદ પર આવેલો હોવાથી અહીંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના અનેક પ્રયાસો થાય છે. પોલીસે આવા પ્રયાસોને નિષ્ફળ બનાવીને આ દારૂ જપ્ત કર્યો હતો. દારૂ નાશ કરવાની કામગીરી દરમિયાન 7 પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:05 pm

દક્ષિણ ગુજરાતને ‘દુબઈ મોડલ’ પર વિકસાવવાની તૈયારી:વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં રસ્તા સુધારણા માટે રૂ. 1,185 કરોડ મંજૂર; સુરતને વૈશ્વિક ટ્રેડિંગ હબ બનાવવાનો માસ્ટર પ્લાન

દક્ષિણ ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ સ્થાન અપાવવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના રસ્તાઓને પહોળા અને સુવિધાસભર બનાવવા માટે રૂ. 1,185 કરોડના વિકાસ કામોને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ સુરત ઇકોનોમિક રિજિયન (SER)ને દુબઈ અને ચીનના ગુઆંગઝૂ જેવા વૈશ્વિક ટ્રેડિંગ હબની તર્જ પર વિકસાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 383 કિમી રસ્તાઓના 24 વિકાસ કામો હાથ ધરાશેઆ મંજૂરી હેઠળ સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં કુલ 383 કિલોમીટર રસ્તાઓના 24 વિકાસ કામો હાથ ધરાશે. રાજ્ય સરકારનું માનવું છે કે, આ માર્ગ સુધારણા પ્રોજેક્ટોથી ઔદ્યોગિક વિસ્તારો, બંદરો અને લોજિસ્ટિક્સ હબ વચ્ચેનું જોડાણ મજબૂત બનશે અને દક્ષિણ ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભું કરવામાં મદદ મળશે. ભારત સરકાર અને નીતિ આયોગનો માસ્ટર પ્લાન તૈયારભારત સરકાર અને નીતિ આયોગ દ્વારા તૈયાર કરાયેલા સુરત ઇકોનોમિક રિજિયનના આર્થિક માસ્ટર પ્લાનને લગભગ 17 મહિના પહેલા સુરતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ માસ્ટર પ્લાનનો મુખ્ય હેતુ 2047 સુધી સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાતને દેશના સૌથી મહત્વપૂર્ણ આર્થિક વૃદ્ધિ કેન્દ્રોમાં સ્થાન અપાવવાનો છે. વડાપ્રધાનના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા પગલુંમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, સુરત ઇકોનોમિક રિજિયન માટે તૈયાર કરાયેલ આર્થિક માસ્ટર પ્લાન માત્ર એક બ્લુપ્રિન્ટ નથી, પરંતુ દૃષ્ટિવંત અને સર્વસમાવેશી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે આયોજનબદ્ધ શહેરો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સુરતને સૌથી વધુ રૂ. 631 કરોડની ફાળવણીજિલ્લાવાર ફાળવણીમાં સુરતને સૌથી વધુ રૂ. 631 કરોડ ફાળવવામાં આવ્યા છે, જ્યારે વલસાડને રૂ. 264 કરોડની મંજૂરી આપવામાં આવી છે. બાકીની રકમ નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં માર્ગ વિકાસ માટે ખર્ચવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ રોકાણો ઔદ્યોગિક ક્લસ્ટરો અને આંતરરાષ્ટ્રીય બજારો વચ્ચેનું અંતર ઘટાડવામાં મદદરૂપ બનશે. વિવિધ શહેરો અને તેની ખાસિયતનીતિ આયોગના અહેવાલ મુજબ, સુરત વિશ્વભરમાં કાપડ ઉત્પાદન અને હીરા પોલિશિંગ ઉદ્યોગ માટે ઓળખાય છે. ઉપરાંત કેમિકલ ઉદ્યોગો, નાના અને મધ્યમ ઉદ્યોગો તથા લોજિસ્ટિક્સ સેવાઓ પણ અહીં મજબૂત છે. જ્યારે ભરૂચમાં કેમિકલ, ફાર્માસ્યુટિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગોનું જોર છે, નવસારી કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ માટે જાણીતું છે, તાપીમાં એગ્રો-પ્રોસેસિંગ અને ડેરી પ્રવૃત્તિઓ મહત્વપૂર્ણ છે અને વલસાડમાં કેમિકલ ઉદ્યોગો સાથે પ્રવાસન પ્રવૃત્તિઓ પણ વિકસી રહી છે. દ. ગુજરાતની જીડીપી 2047 સુધીમાં 45,000 ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્યહાલમાં દક્ષિણ ગુજરાતનું પ્રતિ વ્યક્તિ જીડીપી લગભગ 4,600 ડોલર છે, જેને 2047 સુધી વધારીને 45,000 ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારનું માનવું છે કે, સુસંગત આયોજન અને મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ દ્વારા આ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. સુરતનું વ્યૂહાત્મક સ્થાન અને એક્સપ્રેસવે, રેલવે, સમુદ્રી બંદરો, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તથા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર જેવી સુવિધાઓ તેને વૈશ્વિક ટ્રેડિંગ હબ તરીકે વિકસાવવાની દિશામાં વધુ ગતિ આપશે. રાજ્ય સરકાર દ્વારા કૃષિ, રિયલ એસ્ટેટ, પ્રવાસન, માહિતી ટેક્નોલોજી અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં પણ વિકાસ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 3:55 pm

સામાન્ય બાબતે બે પક્ષ સામસામે:સાયન્સ સિટીમાં સોસાયટીમાં ગાડી પાર્ક કરવા મુદ્દે સેક્રેટરી-સભ્યો અને રહીશ વચ્ચે ગાળાગાળી અને બોલાચાલી

અમદાવાદ શહેરના સાયન્સ સીટી વિસ્તારમાં ડિવાઇન રોડ પર આવેલી એવરેસ્ટ એમ્પાયર સોસાયટીમાં ગાડી પાર્ક કરવા બાબતે સોસાયટીના સેક્રેટરી અને સભ્ય વચ્ચે બોલાચાલી તેમજ મારામારી થઈ હતી. સોસાયટીના સભ્યની ગાડી બ્લોકના પાછળ આવવા જવાના રસ્તા પર પાર્ક કરવામાં આવી હતી. જેથી, ડ્રાઇવરે ગાડી હટાવવાની ના પાડી હતી અને મારા શેઠે અહીંયા જ મૂકવા કહ્યું હતું એમ કહ્યું હતું. આ દરમિયાનમાં ગાડી માલિક આવ્યા હતા અને તેમણે વાતચીત કરી હતી. બંને પક્ષે બોલાચાલી અને મારામારી થઈ હતી. આ સમગ્ર મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમારા શેઠ નિપુનભાઈએ અહીંયા ગાડી પાર્ક કરવાનું કહ્યું છેસાયન્સ સીટી રોડ પર આવેલી એવરેસ્ટ એમ્પાયર સોસાયટીમાં ગૌરવભાઈ ઠક્કર તેમના પરિવાર સાથે રહે છે અને બે વર્ષથી સોસાયટીના સેક્રેટરી છે. 12 તારીખે રાત્રે પોણા દસ વાગ્યાની આજુબાજુ ગૌરવભાઈ અને સોસાયટીના અન્ય સભ્યો ગાર્ડન પાસે બેઠા હતા ત્યારે સોસાયટીમાં રહેતા નિપુનભાઈ સિંઘવીના ડ્રાઇવર ગાડી લઈને ઈ બ્લોક પાછળ આવવા જવાના રસ્તા પર સોસાયટીના અડચણરૂપ ગાડી પાર્ક કરતા હતા. જેથી, ડ્રાઇવરે કહ્યું હતું કે ગાડી અહીંથી નહીં. અમારા શેઠ નિપુનભાઈએ અહીંયા ગાડી પાર્ક કરવાનું કહ્યું છે. જે બાદ ડ્રાઈવરે ગાળાગાળી કરવાની શરૂઆત કરી હતી, તેમના શેઠને ફોન કરી બોલાવ્યા હતા. બંને પક્ષને પોલીસ સ્ટેશન લઈ જઈ ફરિયાદ નોધી હતીનિપુનભાઈ અને તેમના બે જુનિયર વકીલ આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, મારા માણસને ગાડી મૂકતા કોણે રોકી છે? રાજકારણમાં મારી મોટી ઓળખાણ છે? મારું કશું નહીં બગાડી શકો. હું સોસાયટીના નિયમો માનવાનો નથી ગાડી ગમે ત્યાં મુકીશ થાય તેમ કરી લેજો. ગૌરવભાઈએ જણાવ્યું હતું કે, બપોરે સિક્યુરિટી ગાર્ડ પાસેથી સોસાયટીનો માઈગેટ એપ્લિકેશનનો મોબાઇલ ફોન લઈ લીધો છે તે પણ પાછો આપો. જેથી તેમણે કહ્યું હતું કે, ફોન તોડી નાખ્યો છે થાય એમ કરી લેજો સોસાયટીના સભ્યો સાથે ઝઘડો કરવા લાગ્યો હતો અને તમામ સભ્યો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવા છતાં પણ તેઓએ ભેગા થઈ અને ગાળો બોલી માર્યો હતો. આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ પણ આવી હતી. બંને પક્ષને પોલીસ સ્ટેશન લઈ જઈ ફરિયાદ નોધી હતી. ગૌરવભાઈ આપણી ગાડીની ચાવી લઈ લીધી છેનિપુનભાઈએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, રાત્રે હું મારા બે જુનિયર વકીલો સાથે ઘરે હાજર હતો ત્યારે મારા ભાઈ અજયભાઈનો ફોન આવ્યો હતો કે, ડી બ્લોકના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે ગાડીના પાર્કિંગ બાબતે ઝઘડો થયો છે. જેથી, જુનિયર વકીલની સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર ગયા હતા અને જ્યાં અમારા બે ડ્રાઇવર હાજર હતા. તેઓ જણાવ્યું હતું કે, ગૌરવભાઈ આપણી ગાડીની ચાવી લઈ લીધી છે સેક્રેટરી અને અન્ય સભ્યો ત્યાં હાજર હતા. આ બાબતે અગાઉના ઝઘડાની અદાવત રાખી અને ગાળા ગાળી કરી હતી. તમામ લોકોએ એકસંપ થઈને ગાળો બોલવા લાગ્યા હતા તેમની માતા વચ્ચે પડતા તેઓ પણ નીચે પડી ગયા હતા. સોસાયટીના માણસો ભેગા થઈ ગયા હતા આ મામલે બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સોસાયટીના સ્થાનિક લોકો પણ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા માટે મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે સોસાયટીના સ્થાનિક રહીશોનું ટોળું પહોંચ્યું હતું અને ગાડી માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 3:54 pm

સીએમના દાહોદ પ્રવાસ પૂર્વે કલેક્ટરે વ્યવસ્થા સમીક્ષા કરી:સુરક્ષા-સુવિધામાં કચાસ ન રહેવા અધિકારીઓને કડક તાકીદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સિંગવડ તાલુકાના આગામી પ્રવાસને લઈને દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમના પૂર્વ આયોજનના ભાગરૂપે, જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને એક મહત્વની સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં સિંગવડ ખાતે યોજાનાર કાર્યક્રમની સફળતા માટે વિવિધ વિભાગોના અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટર યોગેશ નિરગુડેએ બેઠક દરમિયાન સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડવાની શક્યતા છે. તેથી, સુરક્ષા અને સુવિધા બંને પાસાઓને પ્રાથમિકતા આપવી અનિવાર્ય છે. તેમણે સ્ટેજ મેનેજમેન્ટ, કાયદો અને વ્યવસ્થા, તેમજ ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા એવી રીતે ગોઠવવા તાકીદ કરી હતી જેથી સામાન્ય જનતાને કોઈ હાલાકી ન ભોગવવી પડે. કલેક્ટરે મહેમાનો અને નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, પંખા-કુલર, અવિરત વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા અને ફાયર સેફ્ટી જેવી પાયાની જરૂરિયાતો સમયસર પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા. તેમણે તમામ અધિકારીઓને પરસ્પર સંકલન સાધીને સુચારૂ આયોજન કરવા માટે જરૂરી સૂચનો કર્યા. કાર્યક્રમ દરમિયાન શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કલેક્ટરે પૂર્વ આયોજન પર ભાર મૂક્યો હતો. આ મહત્વની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ, નાયબ પોલીસ અધિક્ષક ભંડારી અને પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વન વિભાગના નાયબ વન સંરક્ષક મિતેશ પટેલ અને બ્રિજેશ ચૌધરી સહિત અન્ય સંકલન અધિકારીઓએ પણ હાજરી આપી હતી. કલેક્ટરે તમામ વિભાગોને સોંપાયેલી કામગીરીમાં કોઈ ક્ષતિ ન રહી જાય તે માટે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 3:48 pm

લીમખેડા CHCમાં HPV રસીકરણ શરૂ, 27 કિશોરીઓને પ્રથમ ડોઝ:ગર્ભાશયના કેન્સર સામે દીકરીઓને સુરક્ષિત કરવા અભિયાન

લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. મહિલાઓમાં ગર્ભાશયના મુખના કેન્સરના જોખમને ઘટાડવા માટે સરકારના માર્ગદર્શન હેઠળ આ અભિયાન શરૂ કરાયું છે. પ્રથમ દિવસે 14 વર્ષની 27 કિશોરીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં RCHO ડૉ. અશોક ડાભી અને તાલુકા હેલ્થ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ રસીકરણ પ્રક્રિયાનો શુભારંભ કરાયો હતો. આરોગ્ય કેન્દ્ર ખાતે વહેલી સવારથી જ કિશોરીઓ અને તેમના વાલીઓની હાજરી જોવા મળી હતી. આ દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં પણ ગંભીર બીમારીઓ પ્રત્યે જાગૃતિ વધી રહી છે. કાર્યક્રમ દરમિયાન ડોકટરોએ વાલીઓને ગર્ભાશયના મુખના કેન્સર વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે યોગ્ય ઉંમરે HPV રસી આપવાથી આ કેન્સર સામે સંપૂર્ણ સુરક્ષા મળી શકે છે. આ રસી સુરક્ષિત અને અસરકારક છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં લીમખેડા CHCના મેડિકલ ઓફિસર, વિવિધ PHCના તબીબો અને નર્સિંગ સ્ટાફનો સહયોગ રહ્યો હતો. આરોગ્ય કર્મચારીઓએ દરેક કિશોરીનું સ્ક્રીનિંગ કરી, રસી આપી અને ત્યારબાદ તેમને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા હતા. આરોગ્ય વિભાગે 9 થી 14 વર્ષની વયની તમામ દીકરીઓને આ રસી અપાવવા વાલીઓને અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 3:46 pm

સુરત કોલેજના વિદ્યાર્થીઓએ સાપુતારામાં ટેકિયોમેટ્રી પ્રોજેક્ટની મુલાકાત લીધી:સિવિલ ઇજનેરીના 119 વિદ્યાર્થીઓ અને 5 પ્રાધ્યાપકોએ પ્રાયોગિક જ્ઞાન મેળવ્યું

સુરત: ડૉ. એસ. એન્ડ એસ. એસ. ગાંધી સરકારી ઇજનેરી કોલેજ, સુરતના સિવિલ ઇજનેરી વિભાગ દ્વારા સાપુતારામાં Tacheometry પ્રોજેક્ટની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. ISTE સ્ટુડન્ટ્સ ચેપ્ટર અને BIS સ્ટાન્ડર્ડ ક્લબ એક્ટિવિટીના ભાગરૂપે આ મુલાકાત 12 અને 13 માર્ચ, 2026ના રોજ યોજાઈ હતી. આ મુલાકાતમાં સિવિલ વિભાગના ચોથા સેમેસ્ટરના કુલ 119 વિદ્યાર્થીઓ અને ૫ પ્રાધ્યાપકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ સાપુતારા ખાતે ટેકિયોમેટ્રિક સર્વે પ્રોજેક્ટમાં પ્રાયોગિક તાલીમ મેળવી. મુલાકાત દરમિયાન, વિદ્યાર્થીઓને ટેકિયોમેટ્રી સર્વેઇંગની પદ્ધતિઓ, સર્વે સાધનોનો ઉપયોગ, ક્ષેત્રીય માપન પ્રક્રિયા અને ડેટા સંગ્રહ અંગે પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ સર્વેઇંગ વિષયના અભ્યાસક્રમનો એક મહત્વપૂર્ણ ભાગ હતો. ટેકિયોમેટ્રિક સર્વેક્ષણનો મુખ્ય હેતુ હોરિઝોન્ટલ અને વર્ટીકલ નિયંત્રણ સાથે રૂપરેખા નકશા તૈયાર કરવાનો છે. વિદ્યાર્થીઓએ આ મુલાકાત દરમિયાન સ્ટાફ પર વાંચન, ક્ષૈતિજ અંતર અને ઊંચાઈનું નિર્ધારણ, RL (Reduced Level), WCB (Whole Circle Bearing) ની ગણતરી અને કન્ટૂર રચના જેવા અનેક તકનીકી કૌશલ્યો શીખ્યા. આ પ્રાયોગિક અનુભવથી વિદ્યાર્થીઓને ઉચ્ચ ચોકસાઈવાળા સર્વેક્ષણની પદ્ધતિઓ શીખવાની તક મળી. તેમણે ટેપ વડે અંતર માપવાની પ્રેક્ટિકલ તાલીમ પણ મેળવી, જે તેમના સૈદ્ધાંતિક જ્ઞાનને મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ. સિવિલ ઇજનેરી વિભાગ દ્વારા આયોજિત આ શૈક્ષણિક મુલાકાત વિદ્યાર્થીઓ માટે અત્યંત જ્ઞાનવર્ધક અને ઉપયોગી સાબિત થઈ હતી, જે તેમને ભવિષ્યમાં વ્યવહારિક કાર્યો માટે તૈયાર કરશે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 3:43 pm

ભાવનગર ગુરુકુળમાં વાર્ષિક પુરસ્કાર સમારોહ:1500 વિદ્યાર્થીઓને વિવિધ સિદ્ધિઓ બદલ સન્માનિત કરાયા

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્પેશિયલ વિભાગ, સરદારનગર (ભાવનગર) ખાતે ધોરણ 5થી 10 ના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં અંદાજે 1200 થી 1500 જેટલા વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન અભ્યાસ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં મેળવેલી સિદ્ધિઓ બદલ પુરસ્કાર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ દરમિયાન યોજાયેલી બર્થ-ડે કાર્ડ મેકિંગ, વર્ષા ગાન સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, શ્રુતલેખન સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, એક પાત્રિય અભિનય અને ડાન્સ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર અપાયા હતા. આ ઉપરાંત, સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ અંતર્ગત આંતરશાળાઓ વચ્ચે યોજાયેલી કબડી, વોલીબોલ, ખો-ખો, ચેસ, સ્કેટિંગ, કરાટે, યોગા અને એથ્લેટિક્સ જેવી રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. શાળાના શિયાળુ રમતોત્સવ દરમિયાન લંગડી, સંગીત ખુરશી, ફુગ્ગા ફોડ, કોથળા દોડ, સ્લો સાયકલિંગ, એક મિનિટમાં બિસ્કીટ ખાઓ અને લીંબુ-ચમચી જેવી રમતોમાં વિજેતા વિદ્યાર્થીઓને પણ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ પટેલ, સુપરવાઇઝર પ્રવીણભાઈ કવા તથા સચિનભાઈ દવે અને તમામ સ્ટાફ મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ પટેલે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 3:41 pm

વેરાવળ-પાટણ પાલિકા પર PGVCLના ₹1.55 કરોડ વીજબિલ બાકી:7 દિવસમાં ચુકવણી નહીં થાય તો પાણી-સ્ટ્રીટ લાઈટ કનેક્શન કપાશે, પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની વહીવટી અને નાણાકીય શિથિલતા ફરી એકવાર સપાટી પર આવી છે. શહેરની પ્રાથમિક સુવિધાઓ જાળવવાની જવાબદારી જેમના શિરે છે, તે જ નગરપાલિકા લાખો રૂપિયાનું વીજ બિલ ભરવામાં નિષ્ફળ રહી છે. PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) દ્વારા જારી કરાયેલી વિગતો અનુસાર, નગરપાલિકા પાસે પાણી પુરવઠા, સ્ટ્રીટ લાઈટ અને અન્ય વ્યાપારિક જોડાણો પેટે કુલ 155.93 લાખ રૂપિયા એટલે કે ₹1.55 કરોડની માતબર રકમ લેણી નીકળે છે.ત્યારે વીજકનેક્શન કપાતા લોકોને પાણી, સ્ટ્રીટલાઈટ સહિતની સેવાઓ તંત્રના વાંકે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જેથી પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ સર્જાયો છે. વારંવારની નોટિસ છતાં તંત્રની ઉદાસીનતાPGVCL વેરાવળ વિભાગીય કચેરીના જણાવ્યા અનુસાર, આ બાકી રકમની વસૂલાત માટે નગરપાલિકા તંત્રને અગાઉ અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. આમ છતાં, પાલિકા તંત્ર દ્વારા બિલની ચુકવણી બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની આ લાપરવાહીને પગલે હવે વીજ કંપનીએ કડક વલણ અપનાવવાની ફરજ પડી છે. 7 દિવસનું અલ્ટીમેટમ PGVCLના કાર્યપાલક ઈજનેરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે 12 માર્ચ 2026થી આગામી 7 દિવસની અંદર જો બાકી લેણાંની ભરપાઈ કરવામાં નહીં આવે, તો નગરપાલિકા હસ્તકના તમામ મહત્વના વીજ જોડાણો કાપી નાખવામાં આવશે. આ કડક કાર્યવાહીના કારણે પાણી-સ્ટ્રીટલાઈ સહિતની સેવાને અસરો થઈ શકે છે: પાણી પુરવઠો: વોટર વર્ક્સના જોડાણો કપાતા આખા શહેરમાં પાણીની તંગી સર્જાઈ શકે છે. સ્ટ્રીટ લાઈટ: રાત્રિના સમયે શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારો અંધકારમાં ગરકાવ થઈ શકે છે. જાહેર સેવાઓ: અન્ય સરકારી અને વહીવટી જોડાણો કપાતા જનતાના કામો અટકી શકે છે. નાગરિકોમાં રોષ અને ચિંતાનગરપાલિકાની આ નિષ્ફળતાને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે વેરો નિયમિત ભરવા છતાં તંત્રની આંતરિક બેદરકારીનો ભોગ સામાન્ય જનતાએ કેમ બનવું? જો આગામી સપ્તાહમાં આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે, તો વેરાવળ-પાટણની જનતાએ પીવાના પાણી અને વીજળી જેવી પાયાની જરૂરિયાતો માટે વલખાં મારવા પડશે. હવે જોવાનું એ રહે છે કે આ અંતિમ ચેતવણી બાદ નગરપાલિકા જાગે છે કે પછી શહેરને હાલાકીનો સામનો કરવો પડે છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 3:40 pm

પેથાપુરમાં જૈન પ્રથમ તીર્થંકર આદિનાથનો જન્મ કલ્યાણક ઉજવાયો:સ્વપ્નવિલા ખાતે ભક્તામ્બર સ્તોત્ર વિધાન અને ધાર્મિક પ્રશ્ન મંચ યોજાયો

પેથાપુરમાં આવેલા શ્રી પાર્શ્વનાથ દિગંબર જૈન ચૈત્યાલય, સ્વપ્નવિલા -3 ખાતે ફાગણ વદ નોમ, ગુરુવારે જૈનોના પ્રથમ તીર્થંકર પ્રભુ આદિનાથનો જન્મ કલ્યાણક ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રભુ આદિનાથના જન્મ કલ્યાણકના પવિત્ર પર્વ નિમિત્તે 48 દીપક પ્રગટાવી ભક્તામ્બર સ્તોત્રનું વિધાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સમૂહ આરતીનું આયોજન થયું હતું અને એક ધાર્મિક પ્રશ્ન મંચ પણ યોજાયો હતો. આ કાર્યક્રમોમાં ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો અને ધર્મ વિશે જ્ઞાન મેળવ્યું. આ પ્રસંગે સોનલબેન ગીરીશભાઈ શાહે પ્રથમ તીર્થંકર આદિનાથ, જેમને ઋષભદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે કેવી રીતે વિશ્વ સંસ્કૃતિના પ્રણેતા તરીકે ભૂમિકા ભજવી તે વિશે માહિતી આપી હતી. તેમણે ભગવાનના ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, વૈરાગ્ય, દીક્ષા, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ અને તેમના નિર્વાણ વિશે વિગતવાર સમજૂતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 3:40 pm

શામળાજીના વિકાસ માટે અરવલ્લી કોંગ્રેસે ભગવાનને પત્ર આપ્યો:શામળિયાના શિખરે ધજા ચડાવી, જિલ્લાના વિકાસની પ્રાર્થના કરી

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યાત્રાધામ શામળાજીના અટકેલા વિકાસ કાર્યોને ઝડપી બનાવવા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસના કાર્યકરોએ ભગવાન શામળિયાને પત્ર પાઠવી, ધજા ચડાવી અને જિલ્લાના વિકાસ માટે પ્રાર્થના કરી. આ વિરોધ શામળાજી ખાતે કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, યાત્રાધામ શામળાજીમાં વર્ષ 2011માં નગરનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસર સિવાયના સમગ્ર શામળાજી નગર, બજારો અને વહીવટી કચેરીઓ સહિતના વિભાગો ધ્વસ્ત કરાયા હતા. ત્યારબાદ શામળાજી મંદિરનો વિકાસ થયો છે, પરંતુ મંદિર આસપાસના શૌચાલય, રિંગરોડ, પુનર્વસન, વેપારીઓની દુકાનો, પાર્કિંગ સહિતના અનેક વિકાસ કાર્યો અટકી પડ્યા છે. શામળાજીની અમલમાં મુકાયેલી અને અટકી ગયેલી ટીપી સ્કીમને રિવાઇઝ કરવાની વાત પણ અધ્ધરતાલ છે, જેના કારણે તમામ વિકાસ કાર્યો થંભી ગયા છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ આ અટકેલા વિકાસ કાર્યોને ઝડપી બનાવવા અને યાત્રાધામ શામળાજી થકી સમગ્ર અરવલ્લી જિલ્લાનો વિકાસ થાય તે માટે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. આ માટે તેમણે ભગવાન શામળિયાના ચરણોમાં પત્ર પાઠવ્યો, મંદિરની પ્રદક્ષિણા કરી અને ધજા ચડાવી જિલ્લાના ઝડપી વિકાસ માટે પ્રાર્થના કરી.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 3:39 pm

પાલીતાણાની વિદ્યાર્થીનીએ ગુરુકુળ શિક્ષણ પર નવો કોન્સેપ્ટ રજૂ કર્યો:ઋષભ જન્મોત્સવમાં શત્રુંજય AI સેન્ટર પ્રોજેક્ટ માટે દ્વિતીય સ્થાન મળ્યું

પાલીતાણાની અંકુર વિદ્યાલયની વિદ્યાર્થીની રિયા ત્રિવેદીએ ઋષભ જન્મોત્સવ દરમિયાન આયોજિત પ્રોજેક્ટ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. રિયાએ ગુરુકુળ શિક્ષણ પરંપરા અને શત્રુંજય AI સેન્ટર પર એક નવો કોન્સેપ્ટ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમ 10 અને 11 માર્ચના રોજ રાજવાડી ખાતે યોજાયો હતો. ઋષભ જન્મોત્સવ નિમિત્તે પાલીતાણા શત્રુંજય યુવક મંડળ દ્વારા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. હર્ષભાઈ અને તેમની ટીમે પાલીતાણાની 92 જેટલી શાળાઓના બાળકોને આ પ્રદર્શન નિહાળવા આમંત્રિત કર્યા હતા. આ પ્રદર્શનમાં બાળકો માટે ચિત્ર અને પ્રોજેક્ટ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં રિયા ત્રિવેદીએ 'આધુનિક શિક્ષણ સાથે સંસ્કારોનું મહત્વ' વિષય પર પોતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. તેણે આદપુર સિદ્ધવડ, મૂળિયાં અને ગિરિરાજના મોડેલ દ્વારા મહત્વપૂર્ણ સંદેશો પાઠવ્યો હતો. રિયાએ ભારપૂર્વક જણાવ્યું કે આધુનિક શિક્ષણ ત્યારે જ ટકી શકશે જ્યારે તે આપણા પ્રાચીન મૂલ્યો અને મૂળિયાં સાથે જોડાયેલું હશે. તેણે શત્રુંજય AI સેન્ટર જેવા વિષય પર પણ ધ્યાન દોર્યું હતું. નિર્ણાયક ટીમ દ્વારા રિયાના પ્રોજેક્ટને દ્વિતીય નંબર માટે પસંદ કરવામાં આવ્યો હતો. સંતોના હસ્તે રિયા ત્રિવેદીને ₹7000ની રકમ આપી સન્માનિત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 3:39 pm

ભરૂચ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:ઈ-મેલ મળતા ખળભળાટ, કોર્ટ પરિસર ખાલી કરાયું, બોમ્બ સ્કોડ- ડોગ સ્કોડ સાથે તપાસ હાથ ધરાઈ

ભરૂચ જિલ્લા કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા ઈ-મેલ મારફતે આ ધમકી આપવામાં આવતા પોલીસ અને વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું અને સુરક્ષા દળો દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. માહિતી મળતાની સાથે જ પોલીસ વિભાગ સક્રિય બન્યો હતો. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ દળને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. સમગ્ર કોર્ટ પરિસરમાં બોમ્બ શોધવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરક્ષાના કારણોસર, કોર્ટમાં હાજર વકીલો, કર્મચારીઓ અને અન્ય લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. કોર્ટ પરિસરની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના દરેક ખૂણે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રીનો ભરૂચ ખાતે મહત્વનો કાર્યક્રમ યોજાવાનો છે, જેને કારણે પોલીસ વિભાગ વધુ સતર્ક બન્યો છે. પોલીસે ધમકીભર્યા ઈ-મેલ અંગે તપાસ શરૂ કરી છે અને ઈ-મેલ મોકલનાર વ્યક્તિને શોધી કાઢવા માટે ટેકનિકલ પાસાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 3:39 pm

વિવેકાનંદ કોલેજમાં જોબ ફેર યોજાયો:50+ કંપનીઓ અને 30+ સ્કૂલોએ ભાગ લીધો

વિવેકાનંદ કોલેજ અને રેડ એન્ડ વાઈટ સ્કીલ એજ્યુકેશન દ્વારા 12 માર્ચ, 2026ના રોજ કોલેજ કેમ્પસમાં જોબ ફેર 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. અભિનવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને રોજગારની તકો પૂરી પાડવાનો હતો. આ જોબ ફેરમાં વિવિધ ક્ષેત્રોની 50થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓ અને 30થી વધુ શાળાઓએ ભાગ લીધો હતો. તેમણે વિદ્યાર્થીઓ અને યુવા ઉમેદવારો માટે વિવિધ પદો માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરી હતી. કાર્યક્રમની શરૂઆત સવારે 9:30 વાગ્યે ઉદ્ઘાટન સમારંભથી થઈ હતી. કોલેજના B.C.A., B.B.A., B.Com. અને B.Ed. ફેકલ્ટીના 400થી વધુ વિદ્યાર્થીઓએ આ મેળામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને કંપનીઓના પ્રતિનિધિઓ સાથે સીધી વાતચીત કરીને રોજગારની તકો મેળવવાની તક મળી હતી. વિવેકાનંદ કોલેજના સંચાલક મંડળે કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ કંપનીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભવિષ્યમાં પણ આવા રોજગાર મેળા દ્વારા યુવાનોને રોજગાર માટે પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. કોલેજના ટ્રસ્ટી હિતેશકુમાર દેસાઈ, પ્રોફેસરો, તમામ સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 3:34 pm

દીપડાના અકસ્માત કેસમાં કાર ચાલક હાજર:વનવિભાગે નોટિસ આપતાં વડોદરાનો આરોપી કાર સાથે આવ્યો, કાર ડિટેઇન

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ નજીક દીપડાના અકસ્માત કેસમાં વડોદરાના કાર ચાલક જોય થેવાલીયમ વનવિભાગ સમક્ષ હાજર થયા છે. વનવિભાગે નોટિસ આપ્યા બાદ તેઓ પોતાની કાર સાથે હાજર થયા હતા, જેને વનવિભાગ દ્વારા ડિટેઇન કરવામાં આવી છે. હાલ કાર ચાલકની વધુ પૂછપરછ ચાલી રહી છે. આ ઘટના 26 જાન્યુઆરીના રોજ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર બાલાનીવાવ ગામ નજીક બની હતી. એક અજાણ્યા વાહન અડફેટે માદા દીપડાનું મોત થયું હતું. આ બનાવ અંગે જાફરાબાદ વનવિભાગ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વનવિભાગ વડોદરા શહેરના ફતેગંજના રહેવાસી જોય થેવાલીયમ સુધી પહોંચ્યું હતું. ત્યારબાદ જાફરાબાદ વનવિભાગ દ્વારા તેમને નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસના પગલે આરોપી જોય થેવાલીયમ વનવિભાગ સમક્ષ સામેથી જ હાજર થયા હતા. શેત્રુંજી ડિવિઝનના એ.સી.એફ. વિરલ સિંહ ચાવડાએ જણાવ્યું કે, જાફરાબાદ રેન્જના નાગેશ્રી રાઉન્ડના નાગેશ્રી બીટની હદમાં આવતા બાલાનીવાવ ગામ પાસેથી પસાર થતા સોમનાથ-ભાવનગર હાઇવે પર 26 જાન્યુઆરીએ માદા દીપડાનું મૃત્યુ થયું હતું. આ બાબતે ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવી હતી. વડોદરાના જોય થેવાલીયમને BNSSની કલમ 35(3) મુજબ નોટિસ આપતા તેઓ પોતાની કિયા કેરેન્સ કાર સાથે હાજર થયા છે. આગળની કાયદેસરની કાર્યવાહી જાફરાબાદ વન્યજીવ રેન્જ દ્વારા કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અગાઉ પણ વાહન અડફેટે બે સિંહોના મોત થયાના બનાવો સામે આવ્યા હતા, જેમાં બંને વાહન ચાલકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તાજેતરના દીપડાના અકસ્માતનો કેસ પણ ઉકેલાતા જાફરાબાદ રેન્જ દ્વારા કુલ ત્રણ અકસ્માતોના બનાવો ઉકેલવામાં સફળતા મળી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 3:32 pm

એચ.એ. કોલેજમાં દાંડીયાત્રા પર વક્તવ્ય:ગાંધીજીની ઐતિહાસિક યાત્રાનું મહત્ત્વ સમજાવ્યું

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજની ગાંધીઅન સોસાયટી દ્વારા દાંડીયાત્રા સંદર્ભે એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વક્તવ્યમાં ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં દાંડીયાત્રાના મહત્ત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. 12મી માર્ચ, 1930ના રોજ મહાત્મા ગાંધીએ અંગ્રેજો દ્વારા મીઠા પર લાદવામાં આવેલા વેરાના વિરોધમાં સાબરમતી આશ્રમથી દાંડી સુધી પગપાળા યાત્રા શરૂ કરી હતી. આ યાત્રા દ્વારા તેમણે અસહકારનું આંદોલન પ્રારંભ કર્યું હતું, જે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક સીમાચિહ્નરૂપ ઘટના બની હતી. કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે, આ દાંડીયાત્રામાં 78 સ્વાતંત્ર્ય સેનાનીઓ જોડાયા હતા. તેઓ 24 દિવસ સુધી 385 કિલોમીટર ચાલીને દાંડી પહોંચ્યા હતા. યાત્રા દરમિયાન ગાંધીજીએ અનેક જાહેરસભાઓ યોજીને મીઠાના વેરા સામે જાગૃતિ ફેલાવી હતી. આ ઐતિહાસિક ઘટનાથી સમગ્ર દેશમાં બ્રિટિશ સરકાર વિરુદ્ધ આક્રોશ ફેલાયો હતો અને સવિનય કાનૂન ભંગની શરૂઆત થઈ હતી. સત્ય અને અહિંસાના સિદ્ધાંતો પર આધારિત આ આંદોલને બ્રિટિશ સલ્તનત સામે દેશવ્યાપી ચળવળ માટે પ્રેરણા પૂરી પાડી હતી. અન્યાય અને શોષણ સામે લડવાની ગાંધીજીની હિંમતે ભારતને આઝાદી અપાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. દાંડીયાત્રાએ દેશની સ્વતંત્રતા ચળવળમાં એક નિર્ણાયક ભૂમિકા ભજવી હતી અને લાખો લોકોને આઝાદી માટે લડવા પ્રેરિત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 3:32 pm

સમ્રાટ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:માતાઓ અને વાલીઓ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો

સુરતના પર્વત પાટિયા સ્થિત સમ્રાટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 12 માર્ચ, 2026ના રોજ સવારે 9:00 થી 11:00 દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં મહિલાઓની શક્તિ, સિદ્ધિઓ અને મહત્વને ઉજાગર કરવાનો હતો. આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માતાઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગત અને દીપ પ્રાગટ્ય સાથે થઈ હતી. ત્યારબાદ શાળાના સંચાલકોએ પ્રાસંગિક ઉદ્દબોધન આપ્યું, જેમાં સ્ત્રી સશક્તિકરણ અને સમાજમાં મહિલાઓના યોગદાન પર ભાર મૂકવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન વિવિધ રસપ્રદ અને મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસ્કૃતિક ફેશન શો, હાઉસી કાર્ડ ગેમ અને મ્યુઝિકલ ચેર જેવી રમતોનો સમાવેશ થાય છે. માતાઓએ ઉત્સાહપૂર્વક રેમ્પ વોક કરી પોતાની પ્રતિભા દર્શાવી હતી અને રમતોમાં ભાગ લઈ આનંદ માણ્યો હતો. આ ઉપરાંત, 'હિયર મી આઉટ' નામની એક વિશેષ પ્રવૃત્તિ દ્વારા મહિલાઓને પોતાના વિચારો અને અનુભવો વ્યક્ત કરવાની તક પૂરી પાડવામાં આવી હતી. મહિલા સશક્તિકરણ વિષય પર એક પ્રેરણાદાયી પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેણે ઉપસ્થિત સૌને પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતિમ તબક્કામાં, ઉપસ્થિત વાલીઓએ પોતાના અનુભવો શેર કર્યા હતા. ત્યારબાદ તમામ મહિલાઓ અને શાળા સ્ટાફની હાજરીમાં કેક કટિંગ સેરેમની યોજાઈ, જેણે ઉજવણીને વધુ યાદગાર બનાવી. કાર્યક્રમના સમાપન પ્રસંગે શાળાના આચાર્યએ આભારવિધિ પાઠવી હતી. મોટી સંખ્યામાં વાલીઓની ઉપસ્થિતિ અને તેમના ઉત્સાહને કારણે આ કાર્યક્રમ અત્યંત સફળ અને યાદગાર બન્યો હતો. શાળા પરિવારે ઉપસ્થિત તમામ વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 3:29 pm

રાહી ફાઉન્ડેશને 50 મનોદિવ્યાંગ બાળકોને ભોજન કરાવ્યું:સ્મિત ચાઇલ્ડ સ્કૂલમાં કેરીનો રસ, પૂરી સહિતની વાનગીઓ પીરસી

રાહી ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના નવા વાડજ, અખબાર નગર સર્કલ સ્થિત સ્મિત ચાઇલ્ડ સ્કૂલના 50 મનોદિવ્યાંગ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું. આ પ્રસંગે બાળકોને કેરીનો રસ, પૂરી, સેન્ડવિચ ઢોકળા, શાક અને પાપડ સહિતનું મનભાવન ભોજન પીરસવામાં આવ્યું હતું. આ ભોજનથી બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં વૈષ્ણવ સદગૃહસ્થ પરિવારે સહયોગી દાતા તરીકે યોગદાન આપ્યું હતું, જેનો રાહી ફાઉન્ડેશન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સ્કૂલના સંચાલકનો પણ આભાર માનવામાં આવ્યો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, અશોકભાઈ દલાલ અને જ્યોત્સનાબેન દલાલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 3:26 pm

શુદ્ધ ઘીનાં નામે ગ્રાહકો સાથે છેતરપીંડીનો પર્દાફાશ:રાજકોટનાં કુવાડવા રોડની જય દ્વારકાધીશ ડેરી ફાર્મનું ઘી લેબોરેટરી પરીક્ષણમાં ફેઇલ, આરોગ્ય માટે જોખમી વેજીટેબલ ફેટની હાજરી મળી, ફૂડ વિભાગે કઠોળનાં 15 નમુના લીધા

રાજકોટમાં શુદ્ધ ઘીનાં નામે ગ્રાહકો સાથે છેતરપીંડીનો પર્દાફાશ થયો છે. મનપાનાં ફૂડ વિભાગ દ્વારા શહેરના કુવાડવા રોડ પરથી તાજેતરમાં લેવાયેલા નમૂનાઓના પૃથ્થકરણમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. રણછોડદાસ બાપુના આશ્રમ પાસે, રોહીદાસપરા મેઇન રોડ પર આવેલી જય દ્વારકાધીશ ડેરી ફાર્મ માંથી લેવામાં આવેલ શુદ્ધ ઘી (લુઝ) નો નમૂનો લેબ તપાસ બાદ સબસ્ટાન્ડર્ડ એટલે કે ફેઇલ જાહેર કરવામાં આવ્યો છે. પૃથ્થકરણ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આ ઘીમાં B.R. Reading at 40 C તથા આયોડિન વેલ્યૂની માત્રા નિયત ધારાધોરણ કરતાં વધુ હતી. આ ઉપરાંત, સૌથી ગંભીર બાબત એ છે કે આ ઘીમાં વેજીટેબલ ફેટની હાજરી મળી આવી છે, જે શુદ્ધ ઘીના નામે ગ્રાહકો સાથે થતી છેતરપિંડી સમાન છે. આ મામલે તંત્ર દ્વારા સંબંધિત પેઢી સામે એજયુડિકેશન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આજે ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન કુલ 12 પેઢીઓની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી અને ત્યાંથી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 15 વિવિધ ચીજવસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા. ફૂડ વિભાગની આ ટીમોએ સાધુવાસવાણી રોડ, રૈયા રોડ, યુનિવર્સિટી રોડ અને કાલાવડ રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં આવેલી જાણીતી સુપર માર્કેટો અને પ્રોવિઝન સ્ટોર્સમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન સાધુવાસવાણી રોડ પર આવેલી ગોલ્ડન સુપર માર્કેટમાંથી સોયાબીન અને દેશી ચણાના નમૂના લેવાયા હતા. તે જ વિસ્તારમાં આર હાઇપર માર્કેટમાંથી તુવેર દાળ તથા ઓમ સુપર માર્કેટમાંથી મગની છડી દાળ અને કાબુલી ચણાના નમૂના લેવામાં આવ્યા હતા. રૈયા રોડ પર બાલાજી શોપિંગ સેન્ટરમાંથી સફેદ ચોળી, શ્રી જલીયાણ પ્રોવિઝન સ્ટોરમાંથી મગ, શ્રી ભગવતી પ્રોવિઝન સ્ટોરમાંથી ચણાદાળ, એન.બી. બ્રધર્સમાંથી રાજમા અને જય સિયારામ શોપિંગ સેન્ટરમાંથી લીલા વટાણાના નમૂના લેવામાં આવ્યા હતા. ઉપરાંત, સાધુવાસવાણી રોડ પર ચંદન સુપર માર્કેટમાંથી અળદ, યુનિવર્સિટી રોડ પર બાલાજી સુપર માર્કેટમાંથી રાજમા અને તુવેર દાળ, રાજેશ અનાજ ભંડારમાંથી વાલ તથા કાલાવડ રોડ પર એન.કાકુભાઈ ગાંધીની પેઢીમાંથી મઠના નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. રાજકોટ મહાપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે. તંત્ર દ્વારા લેવામાં આવેલા આ તમામ 15 નમૂનાઓના રિપોર્ટ આવ્યા બાદ જો તેમાં કોઈ ક્ષતિ જણાશે તો ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 3:26 pm

કવિ પ્રેમાનંદ શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી:વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ્સ, રમતો અને ક્વિઝ દ્વારા જ્ઞાન પ્રદર્શિત કર્યું

વાઘોડિયા રોડ પર આવેલી કવિ પ્રેમાનંદ શાળામાં 10 માર્ચે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વિવિધ વિજ્ઞાન પ્રોજેક્ટ્સ બનાવ્યા હતા. આ પ્રોજેક્ટ્સનું સુંદર રીતે નિદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ પોતાની વૈજ્ઞાનિક સમજ રજૂ કરી હતી. આ ઉપરાંત, કેટલીક ગાણિતિક રમતોનું પણ નિદર્શન કરાયું હતું. દરેક વર્ગના વિદ્યાર્થીઓને વારાફરતી બોલાવીને રમતો રમાડવામાં આવી હતી. સાપસીડીની રમત દ્વારા સારી આદતો અને શરીરને સ્વસ્થ રાખવાના મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી. રિસેસ પછી એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝમાં પાંચ ટીમો બનાવવામાં આવી હતી અને અલગ અલગ રાઉન્ડમાં પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. નિર્ણાયકો દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં 'કલ્પના ચાવલા' ટીમે સૌથી વધુ ગુણ મેળવી વિજેતા બની. તેમને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા. આમ, વિજ્ઞાન દિવસનો હેતુ સફળતાપૂર્વક સિદ્ધ થયો.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 3:25 pm

તાપીમાં લાંચિયો ઓડિટર રંગે હાથ ઝડપાયો:દૂધ મંડળીના રિપોર્ટમાં 'ક્લીન ચિટ'ના બદલામાં 15,000ની લાંચ માંગી, એસીબીની ટીમે ત્રાટકીને ઘટના સ્થળ પર જ બંનેને દબોચ્યા

તાપી જિલ્લામાં લાંચિયા અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરોએ લાલ આંખ કરી છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઉંચામાળ ગામે એસીબીએ એક સફળ ટ્રેપ ગોઠવીને સુરત મિલ્ક ઓડિટ ઓફિસના ઓડિટર ગ્રેડ-2 અને એક ખાનગી વ્યક્તિને રૂ. 15,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. દૂધ મંડળીના ઓડિટ રિપોર્ટમાં કોઈ ક્ષતિ ન કાઢવાના બદલામાં આ લાંચની માંગણી કરવામાં આવી હતી. ઓડિટ રિપોર્ટ માટે લાંચની માંગણીઘટનાની વિગત એવી છે કે, સુરતની નાનપુરા સ્થિત 'સ્પેશ્યલ ઓડિટર (મિલ્ક) ઓડિટ કાર્યાલય'માં ઓડિટર ગ્રેડ-2 તરીકે ફરજ બજાવતા ધર્મેશકુમાર રતિલાલ વસાવાએ ફરિયાદીના ગામની દૂધ મંડળીનું વર્ષ 2024-25નું ઓડિટ કર્યું હતું. આ ઓડિટ દરમિયાન કોઈ પણ પ્રકારની ભૂલો વગરનો 'ક્ષતિરહિત' રિપોર્ટ આપવાના બદલામાં ઓડિટર ધર્મેશકુમારે ફરિયાદી પાસે 15,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક સુરત એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ઉંચામાળ ગામે ગોઠવ્યું છટકુંફરિયાદીની વિગતોના આધારે સુરત એસીબી એકમના ટ્રેપિંગ ઓફિસર પી.આઈ. કે.જે. ધડુક અને તેમની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. વ્યારાના ઉંચામાળ ગામે આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે જાહેર રોડ પર લાંચની રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એસીબીની ટીમ પહેલેથી જ ગોઠવાઈ ગઈ હતી અને ગુપ્ત રીતે આરોપીઓની હિલચાલ પર નજર રાખી રહી હતી. વચેટિયા દ્વારા લાંચ લેવડાવી ફસાયાટ્રેપ દરમિયાન આરોપી ઓડિટર ધર્મેશકુમાર વસાવા સ્થળ પર પહોંચ્યા હતા અને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. લાંચની રકમ પોતે સીધી ન સ્વીકારીને, તેમણે પોતાની સાથે રહેલા ખાનગી વ્યક્તિ જેતલકુમાર સુજીતભાઇ ગામીતને પૈસા લેવા માટે ઈશારો કર્યો હતો. જેતલકુમારે જેવી રૂ. 15,000ની રકમ સ્વીકારી, કે તુરંત જ એસીબીની ટીમે ત્રાટકીને બંનેને સ્થળ પર જ દબોચી લીધા હતા. ACBએ 15,000ની રકમ રિકવર કરીએસીબીની ટીમે આરોપી જેતલકુમાર પાસેથી લાંચ પેટે સ્વીકારેલા પૂરેપૂરા રૂ. 15,000 રિકવર કર્યા છે. ઓડિટર ધર્મેશકુમાર વસાવાએ લાંચની માંગણી કરી હોવાનું અને જેતલકુમારે તે સ્વીકારી હોવાનું પ્રાથમિક તપાસમાં સાબિત થયું છે. આ ઓપરેશનમાં ટેકનિકલ પુરાવાઓ અને પંચોની હાજરીમાં વિગતવાર પંચનામું કરવામાં આવ્યું હતું, જેના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 3:22 pm

'પાથરણાંવાળાને 21 માર્ચ સુધીમાં ભદ્ર પરિસરમાં પુનઃસ્થાપિત કરો':'ભદ્રમાંથી AMC હટાવી શકશે નહીં', સર્વે વગર 'નો વેડિંગ' ઝોન જાહેર કરી શકાય નહીં', હાઇકોર્ટનો ચુકાદો

અમદાવાદના ભદ્ર વિસ્તારમાંથી પાથરણા વાળાઓને દૂર કરવાના વિવાદમાં થયેલી જાહેરહિતની અરજીમાં આજે 13 માર્ચે ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજની બેન્ચ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. વર્ષ 2014માં દાખલ થયેલી આ જાહેર હિતની અરજી ઉપર હાઇકોર્ટે લંબાણપૂર્વક સુનવણી યોજી હતી. 'ભદ્ર પ્લાઝા એરિયામાં પાથરણાવાળાઓને AMC હટાવી શકશે નહીં'આજના ચુકાદામાં હાઇકોર્ટે નોંધ્યું છે કે, AMCએ સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનો અમલ કર્યો નથી. AMC પહેલા સર્વે કરે અને સ્ટ્રીટ વેન્ડર્સને સાથે રાખી સ્કીમ બનાવે. ભદ્ર પ્લાઝા એરિયામાં પાથરણાવાળાઓને AMC હટાવી શકશે નહીં. સર્વે વગર ભદ્રને નો વેડિંગ ઝોન જાહેર કરી શકાય નહીં. સર્ટિફાઇડ સ્ટ્રીટ વેન્ડર્સને AMC અગાઉ બનેલા પ્લાન મુજબ જગ્યા આપે. '21 માર્ચ સુધીમાં ભદ્રના સર્ટિફાઇડ ફેરિયાઓને પુનઃસ્થાપિત કરો'AMC ના ત્રણ અધિકારીઓ સ્ટ્રીટ વેન્ડર્સના સર્ટિફિકેટ તપાસે તેમાં એક સિનિયર પોલીસ અધિકારી પણ હશે. આ કાર્ય 01 અઠવાડિયામાં કરવાનું રહેશે અને 21 માર્ચ સુધીમાં ભદ્રના સર્ટિફાઇડ ફેરિયાઓને પુનઃસ્થાપિત કરવાના રહેશે. જો કે તેને લઈને આવાગમનનો રસ્તો રોકાય નહીં તેનું વ્યવસ્થાતંત્ર ધ્યાન રાખશે. AMC ના રેકોર્ડ મુજબ અહીં 844 ફેરિયાઓને સમાવી શકાય છે, પરંતુ 586 ફેરિયાઓને પ્રમાણપત્ર અપાયાનું AMC એ જણાવ્યું છે. ત્યારે તેઓને ભદ્રમાં પુનઃ સ્થાપિત કરો.બાકી રહેલા 258 ફેરિયાઓને દિવાળી પહેલાની હંગામી વ્યવસ્થાની જેમ રિલોકેટ કરો. આ બાબતે આગળ કાર્યવાહીની જરૂર પડે તો સુનવણી 17 એપ્રિલે યોજાશે. 'AMCએ કાયદા વિરુદ્ધ અને હાઈકોર્ટના અગાઉના નિર્દેશ વિરુદ્ધ કામ કર્યું'હાઇકોર્ટે નોંધ્યું હતું કે, ભદ્ર પરિસરમાંથી પાથરણાવાળાને દૂર કરીને AMC એ કાયદા વિરુદ્ધ અને હાઈકોર્ટના અગાઉના નિર્દેશ વિરુદ્ધ કામ કર્યું છે. હાઈકોર્ટ AMC ના અધિકારીઓ સામે એક્શન લેતી નથી, પરંતુ જો પાથરણાં વાળા કોઈ ફરિયાદ કરશે તો પગલા લેવામાં આવશે. આ દરમિયાન AMCના વકીલે હાઈકોર્ટના ઉપરોક્ત ઓર્ડર ઉપર 6 અઠવાડિયાનો સ્ટેની માંગ કરી હતી. જેને હાઇકોર્ટે નકારી નાખી હતી. બધા પક્ષકારો સાથે બેસી જગ્યા ફાળવવા નિર્ણય થઈ શકેઅગાઉની સુનવણીમાં સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ એક્ટ ઉપર અરજદારો વતી રજૂઆત થઈ હતી. AMCએ રજૂઆત કરી હતી કે બધા પક્ષકારો સાથે બેસી જગ્યા ફાળવવા નિર્ણય થઈ શકે. વર્ષ 2016 પ્લાનમાં 288 વેડિંગ સ્પોટ રોડ ઉપર સ્પોટ થયેલા છે. વળી ભદ્રમાં ટ્રાફિકને લઈને પાથરણાં વાળાને બેસવા દેવાય નહીં. AMCને સર્વે કરતા કોને રોક્યા છે ?જેથી કોર્ટે કહ્યું હતું કે, AMCને સર્વે કરતા કોને રોક્યા છે ? AMCએ એરિયા રિડેવલપ કર્યો તે પહેલા પાથરણાવાળા ભદ્રમાં બેસતા હતાં. તે એરિયાના વિકાસ બાબતે પણ તેઓએ કોઈ વિરોધ કર્યો નહોતો. AMCનાં પ્લાન મુજબ ત્યાં 611 ફેરિયાઓને બેસવાની જગ્યા હતી. 'ફેરિયાના નંબર નહીં, વિસ્તાર જુઓ'AMC એ કોર્ટ સમક્ષ અગાઉ કહ્યું હતું કે, એરિયાના રીડેવલોપમેન્ટ બાદ 844 ફેરિયાઓને ભદ્રમાં વેચાણની જગ્યા આપી શકશે. AMCએ કોઈ સર્વે કર્યો નહીં, બહારના લોકો આવ્યા અને ભદ્રમાં ભીડ થઈ, સર્વે કર્યા વગર AMC એ પછી ત્યાંથી ફેરિયાઓને કાઢી મૂક્યા. કાયદા મુજબ કામ કરો કોર્ટનો રોલ છેલ્લે આવે. AMC જાતે વેડિંગ ઝોન જાહેર કરે છે ,પછી કહે છે કે તે રોડ ઉપર આવેલા છે. ભદ્ર પરિસર વેડિંગ ઝોન છે, જે વર્ષ 2014ના કાયદાથી પહેલા અસ્તિત્વ ધરાવે છે. AMCના આર્કિટેક્ટ પ્લાનમાં ફેરિયાઓ માટે જગ્યા રાખવામાં આવી હતી. 611 કે 844 ફેરિયાના નંબર નહીં, વિસ્તાર જુઓ. 'શું AMCએ આવો નિર્ણય લેતા પહેલા આંખો બંધ કરી દીધી હતી?'AMCએ કહ્યું હતું કે, ભદ્ર પહેલા 'નો વ્હિકલ ઝોન નહોતો, હવે વ્હિકલ ઝોન છે. જાહેર હિતની અરજીમાં મોટા ભાગની પબ્લિકનું હિત જોવું જોઈએ, લાખો લોકો કાલુપુર રોજ જાય છે. જો કે કોર્ટે કહ્યું હતું કે, શું AMCએ આવો નિર્ણય લેતા પહેલા આંખો બંધ કરી દીધી હતી? 2017 થી તમે એફિડેવિટ ફાઇલ કરો છો. બધું વાર્તા જેવું છે, વાંક કોનો છે ? AMC કાયદા મુજબ કોઈ કામ નથી કર્યું કે ના સર્વે કર્યો. હવે AMC કોર્ટ સમક્ષ માફી માંગીને તેને સાંભળવાની વાત કરે છે. 'પહેલા ફેરિયાઓને ભદ્ર પરિસરમાં મૂકો પછી સર્વે કરો'AMC એ એક સબમિશન એવું કર્યું હતું કે, કાયદો અને પરિસ્થિતિ જાળવવા તેઓ અમુક પગલાં લઈ શકે છે. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે પહેલા AMCએ ફેરિયાઓને ભદ્ર પરિસરમાંથી કાઢ્યા છે. પહેલા જે ખોટુ કર્યું છે, તેને સુધારો બાદમાં સર્વે કરો. AMC એ પહેલા કોર્ટ સમક્ષ પ્લાન મૂક્યો, કોર્ટની મંજૂરી લીધી નહીં અને પ્લાન વિરુદ્ધ ફેરિયાઓને કાઢી મૂક્યા બાદમાં કોર્ટને ફોટા બતાયા કે ફેરિયા રોડ પર છે. પહેલા ફેરિયાઓને ભદ્ર પરિસરમાં મૂકો પછી સર્વે કરો. અત્યારે કેટલા ફેરિયાઓને પરત મૂકશો ? '586 ફેરિયાઓને સર્ટિફિકેટ અપાયા હોય તો તેમને ત્યાં પરત મૂકો'AMCએ જણાવ્યું હતું કે, તેઓ ફેરિયાઓને રોડ ઉપર બેસવાની મંજૂરી આપી શકે નહીં. કોર્ટે કહ્યું હતું કે અહીં રોડ નહીં, વેન્ડીંગ ઝોનની વાત છે. વર્ષ 2014ના સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ પહેલા થયેલા સર્વેમાં 611 ફેરિયાઓને ભદ્ર પરિસરમાં બેસવાની જગ્યા આપવાની વાત હતી. ત્યાં કાયદા મુજબ તેમને બેસવાનો હક્ક છે. નવા કાયદાના અસ્તિત્વમાં આવ્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકા ફેરિયાઓને ત્યાંથી હટાવી શકે નહીં. 586 ફેરિયાઓને સર્ટિફિકેટ અપાયા હોય તો તેમને ત્યાં પરત મૂકો. 'કાયદા મુજબ તમે ફેરિયાઓને હટાવી જ ના શકો'AMCએ કહ્યું હતું કે, અગાઉ કોર્ટ સમક્ષ મુકેલ પ્લાન વર્ષ 2026માં ચાલી શકે તેમ નથી. કોર્ટે કહ્યું હતું કે, કાયદા મુજબ તમે ફેરિયાઓને હટાવી જ ના શકો. તમે તેમને પરત બેસવા દેવા સર્વેની શરત મૂકી શકો નહીં. તમે બધા ફેરિયાઓને પરત મૂકો, પછી સર્વે કરો. AMC પાસે બીજો કોઈ વિકલ્પ નથી. વળી આ વિસ્તાર વ્હિકલ ઝોન છે ત્યારે આજે અરજદારો પણ 844 ફેરિયાઓ માટે બેસવાની જગ્યાની માંગ કરી શકે નહીં, ફૂટપાથ મોટી કરીને રોડ સાંકડા કરી શકાય નહીં. કોર્ટ ફાઇલ જોઈને જાતે નિર્ણય કરશે2017થી ભદ્ર વિસ્તારને વ્હિકલ ઝોન જાહેર કરાયો હોય તો પણ પહેલા સર્વે કરવાનો કોર્પોરેશનનો પ્રસ્તાવ કોર્ટને સ્વીકાર નથી. પહેલા 586 ફેરિયાઓને ભદ્રમાં બેસવા જગ્યા આપવામાં આવે, પછી કોર્પોરેશન સર્વે કરે. અરજદારો પણ ઓથોરિટીને સહયોગ આપે. આમ છતાં બંને પક્ષો પોતાની વાત ઉપર અડગ રહેતા હાઇકોર્ટે કહ્યું હતું કે, કોર્ટ ફાઇલ જોઈને જાતે નિર્ણય કરશે. અરજદારો વર્તમાનમાં ભૂતકાળ ઇચ્છે છે, જેમાં તેઓ પોતાનું ભવિષ્ય બગાડી શકે છે. કોર્ટ ટ્રાફિક સમસ્યા અવગણીને ઓથોરિટીને કાર્ય કરવા પણ કહી શકે નહીં કે કાયદા વિરુદ્ધના કાર્યની મંજૂરી આપી શકે નહીં. AMCએ 586 ફેરિયાઓને પરત ભદ્ર વિસ્તારમાં મૂકી સર્વે કરવો જોઈએ. હાઇકોર્ટે કરેલા આદેશની અવમાનના ને વેન્ડર્સ એક્ટની જોગવાઇનો ભંગહાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દલીલોના અંતે એવી વેધક ટકોર કરી હતી કે, કોઇ પણ રિ-સરવે કે ફ્રેશ પ્રક્રિયા વિના માત્ર ભદ્રમાં ખૂબ ટ્રાફિક થઇ ગયો હોવાની દલીલ કરીને ભદ્ર ખાતેથી વેન્ડર્સને હટાવવાનું કોર્પોરેશનનું કૃત્ય 2019માં હાઇકોર્ટે કરેલા આદેશની અવમાનના સમાન છે અને વેન્ડર્સ એક્ટની કલમ-21ની જોગવાઇનો પણ ભંગ કરે છે. AMC વેન્ડર્સને વૈકલ્પિક વ્યવસ્થા આપી રિલોકેટ કરશે તો અરજીનો નિકાલ થશેહાઇકોર્ટ આ બાબતે અત્યંત સ્પષ્ટ છે અને હવે કોર્પોરેશનનો શું પ્રસ્તાવ છે અને હાઇકોર્ટના અગાઉના આદેશનો અમલ કઇ રીતે કરશો એ કોર્ટને જણાવો. જો કોર્પોરેશન વેન્ડર્સને વૈકલ્પિક વ્યવસ્થા આપી રિલોકેટ કરશે તો જ અરજીનો નિકાલ થશે. અન્યથા ફરી કોર્ટ સ્પષ્ટ કરે છે કે AMCનું આ કૃત્ય કોર્ટના આદેશની અવમાનના સમાન અને કાયદાનો સદંતર ભંગ છે. 'AMCએ 2019 પછી રિ-સરવે નહીં કરીને કાયદાનો ભંગ કર્યો છે'હાઇકોર્ટે ભદ્ર પાથરણાવાળાઓના કેસની સુનાવણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વલણ અને કૃત્યની મૌખિક રીતે ભારે ટીકા કરી હતી. કોર્ટે એવી વેધક ટકોર કરી હતી કે કાયદાકીય જોગવાઇઓ મુજબ નિર્વિવાદ છે કે આ જગ્યા 'નો વેન્ડિંગ ઝોન' જાહેર કરાઇ નથી. ઉલટાનું આ જોગવાઇઓ ટાઉન વેન્ડિંગ કમિટીને સત્તા આપે છે કે તેઓ દર 5 વર્ષે રિ-સરવે કરી શકે. એકવાર શરૂઆતમાં કોર્પોરેશન બધાને જગ્યાની ફાળવણી વગેરે કરી લે એના પછી દર પાંચ વર્ષે તમારે સ્ટ્રીટ વેન્ડર્સને પ્રમોટ કરવા પડે. કોર્પોરેશન હસ્તક આ સત્તા આવે છે. એ ટાઉન વેન્ડિંગ કમિટીની ભલામણ અને પ્લાનિંગ ઓથોરિટી સાથે પરામર્શ બાદ રિ-સરવે કરી શકે છે. પરંતુ AMCએ 2019 પછી રિ-સરવે નહીં કરીને કાયદાનો ભંગ કર્યો છે અને હાઇકોર્ટ સમક્ષ આપેલી ખાતરી અને એના આધારે થયેલા આદેશનો પણ ભંગ કરીને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરી છે. 'કોર્ટે આદેશ કર્યા હતા, પછી પણ તમે રિ-સરવે કર્યો નથી'હાઇકોર્ટે એવી ટકોર પણ કરી હતી કે, હવે કોર્પોરેશન આ મામલે યુટર્ન લઇ શકે નહીં. આઇડેન્ટિફાઇ કરાયેલા હોય તેવા વેન્ડર્સ સિવાય કોઇને પણ તમે દૂર કરી શકો, હટાવી શકો. તમે 844 વેન્ડર્સને આઇડેન્ટિફાઇ કર્યા હોવાનું સોગંદનામું કર્યું છે, ત્યારે કોર્પોરેશન તરીકે તમારી ફરજ છે કે કાયદાની જોગવાઇ મુજબ તમે પ્લાન બનાવો. કોર્ટ કોર્પોરેશનને રિ-સરવે કરવાથી અટકાવતા નથી, એ AMCની સત્તાનો વિષય છે. પરંતુ તમે જે સરવે કરીને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો અને કોર્ટે આદેશ કર્યા હતા. પણ પછી તમે રિ-સરવે કર્યો નથી. પરંતુ જે તે સમયે તમે જે વેન્ડર્સનું આઇડેન્ટિફિકેશન કર્યું હતું અને સર્ટિફિકેટ આપ્યા હતા એમના રિ આઇડેન્ટિફિકેશનનો હવે કોઇ પ્રશ્ન જ થતો નથી. 'કોના આદેશથી 2025માં ભદ્ર ખાતેથી હટાવવામાં આવ્યા હતા'હાઇકોર્ટે ટકોર કરી હતી કે, 2019 પછીના કિસ્સામાં તમારી માટે તમામ દરવાજા ખૂલ્લાં છે. પરંતુ જ્યારે તમે વેન્ડર્સને રિલોકેટ કરશો ત્યારે જ આ રિટનો નિકાલ કરવામાં આવશે. અન્યથા તમારું કૃત્ય કોર્ટની અવમાનના જ નહીં કાયદાની જોગવાઇઓથી વિપરીત પણ ગણાશે. જો તમે સકારાત્મક પ્રસ્તાવ સાથે સામે નહીં આવો તો કોર્ટને જણાવજો કે કોના આદેશથી 2025માં તેમને ભદ્ર ખાતેથી હટાવવામાં આવ્યા હતા. '844 વેન્ડર્સને જગ્યા નહીં આપવાની દલીલ કઇ રીતે કરી શકો ?'હાઇકોર્ટે આજની સુનવણીમાં AMCને સવાલો કર્યા હતા કે, વેન્ડર્સ એક્ટની કલમ-21માં રિ-સરવેની વ્યાખ્યા કરાઇ છે અને તમે રિ-સરવે કર્યો જ નથી, ત્યારે તમને કાયદાના આ મુદ્દે કોઇ દલીલ કરી શકે નહીં. રિ-સરવે વિના આઇન્ડન્ટિફાઇ કરેલાં 844 વેન્ડર્સને જગ્યા નહીં આપવાની દલીલ કઇ રીતે કરી શકો ? મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર કે તેના અધિકારીઓ કોર્ટ સમક્ષ કેઝ્યુઅલ સ્ટેટમેન્ટ્સ આપી શકે નહીં. 844 વેન્ડર્સને તમે આઇડેન્ટિફાઇ કર્યા બાદ કોઇ રિસરવે કે ફ્રેશ પ્રોસેસ વિના 2025માં ભદ્રથી કેમ ખસેડ્યા ? 'તમે વેન્ડર્સને એક મિટર દૂર પણ હટાવી શકો નહી'ભદ્ર ખાતે હવે પરિસ્થિતિ બદલાઇ હોવાની કોર્પોરેશનની દલીલને હાઇકોર્ટે ધરાર ફગાવી દેવાનું વલણ અપનાવ્યું હતું અને ટકોર કરી હતી કે AMC એ વર્ષ 2025માં વેન્ડર્સને હટાવ્યા છે. હવે AMC કહે છે કે ભદ્ર વિસ્તારની પરિસ્થિતિ બદલાઇ છે. પરંતુ AMC ના કેસ એવો નથી કે વર્ષ 2019થી વેન્ડર્સ અહીં કામ નથી કરી રહ્યા. AMC ના પ્લાનમાં કહ્યું હતું કે 844 વેન્ડર્સને અહીં જગ્યા ફાળવાશે. વેન્ડર્સે જે તે સમયે તમને સહકાર આપ્યો હતો. ત્યારબાદ તેઓ કામ કરી રહ્યા હતા. પરંતુ તમે એ પછી કોઇ રિ-સરવે કર્યો નથી અને તેમને દૂર કર્યા છે. જો આ વાસ્તવિક સ્થિતિ હોય તો તમે વેન્ડર્સને એક મિટર દૂર પણ હટાવી શકો નહી. આ દલીલ કોર્પોરેશનને કન્ટેમ્પ્ટમાં નાંખી શકે છે- હાઈકોર્ટAMC તરફથી દલીલ થઈ હતી કે, જો ભદ્ર વિસ્તારમાં આજની તારીખે 844 વેન્ડર્સને જગ્યા આપીશું તો આખોય વિસ્તાર થંભી જશે. હાઇકોર્ટે કહ્યું હતું કે આ દલીલ કોર્પોરેશનને કન્ટેમ્પ્ટમાં નાંખી શકે છે. પરિસ્થિતિ બદલાઇ ગઇ હોઇ શકે, પરંતુ આ દલીલ કોઇ સરવે વિના કઇ રીતે કોર્ટ માની શકે. AMC કોઇને પણ રિ સરવે અને ફ્રેશ સરવે વિના ટચ કરી શકો નહીં. જો 844 વેન્ડર્સને જગ્યા ફાળવશો તો ટ્રાફિકની વિકરાળ સમસ્યા સર્જાશે, જો આ જ તમારો કેસ હોય તો ફ્રેશ પ્લાન બનાવો, રિસરવે કરો અને તેમને રિલોકેટ કરવા અંગે નિર્ણય લો. જોકે હાઇકોર્ટને તમે જે જગ્યા દર્શાવી છે, ત્યાં અમે બધાને નહીં, પરંતુ 844 વેન્ડર્સને પરત લાવો અને જો તમે આ મામલે ગંભીર હોય તો રિ સરવે કરો. પરિસ્થિતિ ગંભીર છે અને હવે તમારો શું પ્રસ્તાવ છે એ અમને બતાવો- હાઈકોર્ટહાઇકોર્ટે કોર્પોરેશનને તાકીદ કરી હતી કે આ પરિસ્થિતિ ગંભીર છે અને હવે તમારો શું પ્રસ્તાવ છે એ અમને બતાવો. ત્યારે કોર્પોરેશને ચાર-પાંચ દિવસની મહેલત આપવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે કોર્પોરેશન શક્ય હોય તો વેન્ડર્સને કઇ રીતે રિલોકેટ કરી શકે એની ચકાસણી કરવા સમય આપો. ત્યારે કોર્ટે કહ્યું હતું કે જો તમે શક્યતા ચકાસી રહ્યા હોવ તો તમે કોર્ટ સ્પષ્ટ કરી રહી છે કે તમે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટમાં આવી શકો.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 3:18 pm

સ્વચ્છતાના રેન્કિંગમાં પ્રથમ સુરતમાં ડેન્ગ્યુ-મેલેરિયાને ખુલ્લું આમંત્રણ:પાંડેસરા આરોગ્ય કેન્દ્ર સામે જ કચરાનો ઢગલો, કમિશનરના આદેશો કાગળ પર અટકી ગયા

સુરત શહેર દેશભરમાં તેની સ્વચ્છતા અને સુઘડ આયોજન માટે જાણીતું છે. સ્વચ્છ ભારત સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ હાંસલ કરનાર સુરત મહાનગરપાલિકા જ્યારે સુવિધાઓના દાવા કરે છે ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલું હરીનગર શહેરી આરોગ્ય કેન્દ્ર તંત્રના સ્વચ્છતાઓના આ દાવાઓની પોલ ખોલી રહ્યું છે. આરોગ્ય કેન્દ્રની સામે જ કચરાનો મોટો ઢગલો જોવા મળ્યોપાંડેસરા એ સુરતનો શ્રમિક અને ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહીંના હરીનગર આરોગ્ય કેન્દ્રમાં રોજ સેંકડો સામાન્ય મધ્યમવર્ગીય પરિવારો સારવાર માટે આવે છે. પરંતુ આ સેન્ટરના મુખ્ય દરવાજાની બિલકુલ સામે જ કચરાનો મોટો ઢગલો જોવા મળી રહ્યો છે. અઠવાડિયાઓ સુધી કચરો ઉપાડવામાં ન આવતો હોવાથી અહીં ભયંકર દુર્ગંધ ફેલાયેલી રહે છે. કચરાના આ ઢગલા પર રખડતા ઢોર અને કૂતરાઓનો જમાવડો જોવા મળે છે, જે સારવાર માટે આવતા નાના બાળકો અને વૃદ્ધો માટે જોખમી સાબિત થઈ શકે છે. કેન્દ્રના દરવાજાની અંદર કૂતરા આંટાફેરા મારી રહ્યા છેમાત્ર બહાર જ નહીં, પણ આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડની અંદર પણ ગંદકીના સામ્રાજ્યએ પગપેસારો કર્યો છે. પરિસરમાં ખૂણે-ખૂણે પ્લાસ્ટિકની કોથળીઓ અને ધૂળના થર જોવા મળ્યા છે. જે સ્થળે સ્વચ્છતાના સૌથી ઊંચા ધોરણો હોવા જોઈએ, ત્યાં જ આ પ્રકારની બેદરકારી આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા છતી કરે છે. આરોગ્ય કેન્દ્રના દરવાજાની અંદર કૂતરા આંટાફેરા મારી રહ્યા છે ત્યારે દરવાજાની થોડે બહાર આરોગ્ય ક્ષેત્રે વપરાતો દવાનો વેસ્ટેજના કોથળા ભરેલા પણ પડેલા જોવા મળ્યા હતા. રોગચાળાને ખુલ્લું આમંત્રણઆ ગંદકીની વચ્ચે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હેલ્થ સેન્ટરમાં આવેલી પાણીની ટાંકીનું ઢાંકણ તૂટેલી હાલતમાં છે. પાણી ખુલ્લી ટાંકીમાં પક્ષીઓનો ચરક, ધૂળ અને કચરો પડે છે. વધુમાં, હાલના સમયમાં જ્યારે મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ અને મેલેરિયાનો ખતરો વધી રહ્યો છે ત્યારે આવી ખુલ્લી ટાંકી મચ્છરોના બ્રીડિંગ માટે સ્વર્ગ સમાન છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન હાલમાં આગામી સ્વચ્છતા સર્વેક્ષણ માટે રાત-દિવસ એક કરી રહ્યા છે. તેઓ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે અને અધિકારીઓને કડક સૂચનાઓ આપી રહ્યા છે પરંતુ, પાંડેસરાનું આ દ્રશ્ય સૂચવે છે કે કમિશનરના આદેશો ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચતા પહેલા જ ક્યાંક અટકી જાય છે. જ્યારે શહેરના મુખ્ય રસ્તાઓ ચમકી રહ્યા છે ત્યારે ગરીબ અને શ્રમિક વિસ્તારોના આરોગ્ય કેન્દ્રની કેમ ખરાબ હાલત?

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 3:17 pm

કોર્ટને બોમ્બની ધમકી મળવાનો સિલસિલો યથાવત:ગઈકાલે અમદાવાદ મેટ્રો કોર્ટ બાદ આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને મળી બોમ્બની ધમકી, સોમવારે પણ મળી હતી ધમકી

અમદાવાદની અદાલતોને બોમની ધમકી મળ્યાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. હજુ ગઈકાલે જ અમદાવાદ મેટ્રો કોર્ટને બોમ્બની ધમકી મળી હતી. ત્યારબાદ ફરી આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઉલ્લેખનીય છે કે ગત સોમવારના રોજ અમદાવાદ ગ્રામીણ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટને પણ બોમની ધમકી મળી હતી. અટપટી ટેક્નોલોજીને ભેદીને ગુન્હેગારને પકડવો અઘરો બન્યોપોલીસે અગાઉ બોમ્બની ધમકી આપનાર એક મહિલા આરોપી અને વિશ્વાસ નામના પશ્ચિમ બંગાળના અને મૂળ બાંગ્લાદેશના યુવકને ઝડપી પાડ્યો છે તેમછતાં આ સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ત્યારે પોલીસ સમક્ષ આ ધમકી આપનારને ઝડપી પાડવો મોટો પડકાર છે. અટપટી ટેક્નોલોજીને ભેદીને ગુન્હેગારને પકડવો અઘરો બન્યો છે. કોઈ શંકાસ્પદ વસ્તુ કોર્ટ પરિસરમાંથી પોલીસે મળી આવી નથીઅમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બની ધમકી મળતા સ્થાનિક પોલીસ, બોમ્બ ડિટેકટ એન્ડ ડિસ્પોઝેબલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ફાયર ફાઇટર્સ વગેરેએ ગ્રામ્ય કોર્ટ ઇન્કમટેક્સ ખાતે પહોંચીને કોર્ટમાં અને પરિસરમાં સઘન તપાસ હાથ ધરી છે. જો કે અત્યાર સુધીની ધમકીઓમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કોર્ટ પરિસરમાંથી પોલીસે મળી આવી નથી, જે સુરક્ષા એજન્સીઓ માટે રાહતના શ્વાસ સમાન છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 3:12 pm

મહેસાણા 108ની ટીમે દાખવી પ્રમાણિકતા:અકસ્માતગ્રસ્ત દર્દીના રોકડા 11,500 અને મોબાઈલ પરિવારને પરત કર્યા

કટોકટીની પળોમાં દેવદૂત બનીને આવતી 108 ઇમરજન્સી સેવાની ટીમે મહેસાણાના પાલવાસણા વિસ્તારમાં ફરજ દરમિયાન માનવતા અને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જગુદણ ચોકડી પાસે થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દર્દીની કિંમતી ચીજવસ્તુઓ અને રોકડ રકમ સુરક્ષિત રીતે તેમના પરિવારને સોંપી 108ના કર્મીઓએ ફરજ પ્રત્યેની નિષ્ઠાના દર્શન કરાવ્યા છે. અકસ્માત સમયે દર્દી અર્ધબેભાન અવસ્થામાં હતાગઈકાલે જાગુદણ ચોકડી પાસે એક ટુ-વ્હીલર અકસ્માત સર્જાયો હતો. આ અંગેની જાણ થતા જ પાલવાસણા લોકેશન પર તૈનાત 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. EMT કાજલ પરમાર અને પાયલોટ દિલીપ રાવલે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા દર્દીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી. અકસ્માત સમયે દર્દી અર્ધબેભાન અવસ્થામાં હતા અને સ્થળ પર એકલા હતા. પરિવારજનોએ 108ની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો સારવાર દરમિયાન 108ની ટીમને દર્દી પાસેથી એક વોલેટ,11,500 રૂપિયા રોકડા તેમજ એક વીવો કંપનીનો સ્માર્ટફોન મળી આવ્યો હતો. 108ની ટીમે આ તમામ કિંમતી સામાન અને રોકડ રકમની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. ત્યારબાદ દર્દીના સંબંધીઓનો સંપર્ક સાધીને તેમને રૂબરૂ બોલાવી તમામ વસ્તુઓ હેમખેમ પરત સોંપી હતી. હાલમાં દર્દીને વધુ સારવાર માટે લાયન્સ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તની જિંદગી બચાવવાની સાથે તેમની મિલકત પણ સુરક્ષિત રાખવા બદલ સ્થાનિક લોકો અને પરિવારજનોએ 108ની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 3:09 pm