SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
...

હવામાન વિભાગની આગાહી:આજે કચ્છમાં હીટવેવને લઈને યલો એલર્ટ, સૌથી વધુ રાજકોટમાં 41.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું

રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે વધવા લાગ્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ કે દાસના જણાવ્યા અનુસાર, આગામી દિવસમાં તાપમાન સુકું રહેશે. આજે કચ્છમાં હીટવેવને લઈને માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 41.7 ડિગ્રી સેલ્સિયસ સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 40.7 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગર 40.2 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને તેની આસપાસના રાજસ્થાન પર 1.5 કિમીની ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે. મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ રહેવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચા તાપમાન અને ભેજને કારણે ગરમ અને ભેજવાળી સ્થિતિ રહેશે, જેનાથી ડિસ્કમ્ફર્ટ અનુભવાઈ શકે છે. કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગમી દિવસોમાં 13, 14 અને 15 એપ્રિલ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ દરમિયાન પવનની ગતિ 45 થી 55 કિમી/કલાક અને ઝાપટા સાથે 65 કિમી/કલાક સુધી રહી શકે છે. લૂ કે હીટવેવ શું છે? જવાબ- IMD (ભારત હવામાન વિભાગ) અનુસાર, જ્યારે મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે ગરમ હવા ફૂંકાવા લાગે છે. જો કોઈપણ વિસ્તારમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, તો તેને હીટ વેવની ખતરનાક શ્રેણી માનવામાં આવે છે. હીટ સ્ટ્રોકનું કારણ શું છે? આપણા શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે. પરંતુ ઉનાળા દરમિયાન આસપાસના વાતાવરણનું તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં જ્યારે આપણે તીવ્ર સૂર્યપ્રકાશ અથવા ગરમ હવામાં બહાર જઈએ છીએ, ત્યારે આસપાસનું વાતાવરણ આપણા શરીરનું તાપમાન વધારી દે છે. જ્યારે આપણા શરીરનું તાપમાન સામાન્ય શરીરના તાપમાન એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી જાય છે, ત્યારે આ સ્થિતિને હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે. હીટ સ્ટ્રોકના કિસ્સામાં કયા પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરી શકાય? હીટસ્ટ્રોકથી બચવા માટે કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? હીટ સ્ટ્રોકથી બચવા માટે કેવો આહાર હોવો જોઈએ? નિષ્ણાંત તબીબના જણાવ્યા મુજબ, હીટસ્ટ્રોકથી બચવા માટે ઘરની બહાર નીકળતા પહેલાં કંઈક ખાઓ. દાદી અને દાદી કહે છે કે ઘરની બહાર ક્યારેય ખાલી પેટ ન નીકળવું જોઈએ, તેની પાછળ વિજ્ઞાન છે. જ્યારે તમે ખાલી પેટે બહાર જાઓ છો, ત્યારે તમે ઝડપથી થાકી જાઓ છો અને ઇલેક્ટ્રોલાઇટ્સ ગુમાવો છો, જે ડિહાઇડ્રેશનનું કારણ બને છે. ગરમી અને સનસ્ટ્રોકથી બચવા માટે તમે નારિયેળ પાણી પી શકો છો. આ ઉપરાંત, તડકામાંથી આવ્યા પછી અથવા વધુ પડતો પરસેવો આવ્યા પછી તરત જ ઠંડુ પાણી પીવું જોઈએ નહીં. ઉનાળામાં પાણીમાં લીંબુ અને મીઠું ભેળવીને દિવસમાં બે-ત્રણ વાર પીવું જોઈએ. આ હીટ સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. જે લોકો હીટ સ્ટ્રોકથી પરેશાન છે તેઓ માટે જવનો લોટ અને ડુંગળી પીસીને પેસ્ટ બનાવો અને તેને શરીર પર લગાવો, તેનાથી તેમને ઘણી રાહત થશે. તડકામાંથી બહાર આવ્યા પછી ડુંગળીનો થોડો રસ મધમાં ભેળવીને ચાટવાથી હીટ સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે. ઉનાળાની ઋતુમાં જમ્યા પછી ગોળ ખાવાથી હીટ સ્ટ્રોકનું જોખમ પણ ઓછું થઈ જાય છે. ઉનાળામાં હળવો ખોરાક લેવો જોઈએ અને ડાયટમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 1:56 pm

વિડીયો ઉતારવા બાબતે અરજદાર અને કર્મચારીઓ આમને-સામને.:​11:15 વાગ્યા છતાં કર્મચારીઓ ગાયબ ? ટાઉન પ્લાનિંગ શાખામાં અરજદાર સાથે મારામારીના ગંભીર આક્ષેપો, રોષે ભરાયેલા કર્મચારીઓએ કચેરીને તાળા મારી હડતાળ પોકારી.

​જૂનાગઢ મહાનગરપાલિકા ફરી એકવાર ગંભીર વિવાદોના કેન્દ્રમાં આવી છે. આજે સવારે 11:15 વાગ્યા હોવા છતાં ટાઉન પ્લાનિંગ શાખાના કર્મચારીઓ પોતાની ખુરશી પર હાજર ન હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અરજદાર કરસન સોલંકી જ્યારે પોતાની અરજી બાબતે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે કચેરી ખાલીખમ હોવાથી તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લાઈવ વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતું. આ વિડીયોમાં લાખો રૂપિયાના પગાર લેતા કર્મચારીઓની ગેરહાજરી અને ખાલી ખુરશીઓ જોઈ શકાય છે. વિડીયો ઉતારવા બાબતે મોડેથી આવેલા કર્મચારીઓ અને અરજદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં મારામારી અને ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી. ​અરજદાર કરસન સોલંકીએ વહીવટી તંત્ર અને કમિશનર સામે અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, તેઓ હવેલી ગલીમાં ચાલી રહેલા એક મોટા ગેરકાયદેસર બાંધકામ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આજે જ્યારે તેઓ રજૂઆત કરવા ગયા ત્યારે પાનસુરિયા સાહેબ અને અન્ય કર્મચારીઓએ તેમનો કાંઠલો પકડી જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહી માર માર્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. અરજદારે આક્ષેપ કર્યો છે કે કર્મચારીઓ એવું બોલતા હતા કે કમિશનરે તેને પાડી દેવાની સૂચના આપી છે. તો બીજી તરફ આજની આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે. તો મહાનગરપાલિકાના કર્મચારીઓએ પોતાની ભૂલ છુપાવવા અને અરજદાર પર દબાણ લાવવા માટે કામકાજ બંધ કરી દીધું છે. કર્મચારીઓ કચેરીની બહાર એકઠા થઈ ગયા હતા અને 'અરજદારો દ્વારા કરવામાં આવતી હેરાનગતિ'ના વિરોધમાં હડતાળની જાહેરાત કરી હતી. કર્મચારીઓનો આક્ષેપ છે કે અવારનવાર કેટલાક આવારા તત્વો કચેરીમાં આવીને ગેરવર્તણૂક કરે છે અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને સરકારી કામમાં અવરોધ ઊભો કરે છે. કર્મચારીઓએ તો ત્યાં સુધી આક્ષેપ કર્યો કે અરજદારે જ તેમના પર હુમલો કર્યો છે. ​મહિલા કર્મચારીઓની સુરક્ષાના પ્રશ્ને કર્મચારી શ્રેયા પાનેરીએ જણાવ્યું હતું કે જનસેવા કેન્દ્રમાં મહિલાઓ સાથે અભદ્ર વર્તન સામાન્ય બની ગયું છે. કર્મચારીઓની માંગ છે કે કચેરીમાં સિક્યોરિટી ગાર્ડની નિમણૂક કરવામાં આવે અને ગેરવર્તણૂક કરનારા અરજદારો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે. હાલમાં મહિલા કર્મચારીઓ સહિતના સ્ટાફે મનપા કચેરીને તાળા મારી કામકાજ ઠપ્પ કરી દીધું છે, જેના કારણે અન્ય નિર્દોષ અરજદારો પણ હાલાકી ભોગવી રહ્યા છે. ​જૂનાગઢ મહાનગરપાલિકામાં વારંવાર ભ્રષ્ટાચાર અને વહીવટી શિથિલતાના આક્ષેપો થતા રહે છે. અરજદારોની રજૂઆતોનો કોઈ નિકાલ ન આવતા લોકોએ મજબૂર બનીને વારંવાર ધક્કા ખાવા પડે છે. અધિકારીઓની આવી બેદરકારીને કારણે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે, પરંતુ જ્યાં સુધી સુરક્ષા અને સમસ્યાનો કાયમી નિકાલ નહીં આવે ત્યાં સુધી કર્મચારીઓએ હડતાળ ચાલુ રાખવાની જીદ પકડી છે. આ વિવાદને કારણે જૂનાગઢ મનપાનું તંત્ર સંપૂર્ણપણે પડી ભાંગ્યું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 1:54 pm

કલોલના યુવકની IPL મેચ પર સટ્ટો રમાડતા ધરપકડ:કડીના બૂકી પાસેથી 20 હજારમાં આઈડી ખરીદી હતી, 11 હજારનો મુદ્દામાલ જપ્ત

IPL મેચ પર ગાંધીનગરના કલોલ શહેરમાં ઓનલાઈન સટ્ટો રમાડતા એક શખ્સને ગાંધીનગર LCBની ટીમે રહેમત રેસિડન્સીના પાર્કિંગમાંથી ઝડપી લીધો હતો. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પાડવામાં આવેલા આ દરોડામાં આઈફોન અને રોકડ રકમ સહિત 11,200નો મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. LSG અને GTની મેચ પર સટ્ટો રમાડતો હતોગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના PI દિવાનસિંહવાળાની ટીમ કલોલ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે અલ્ફાઝ કુરેશી નામનો શખ્સ પોતાના મોબાઈલમાં લખનઉ સુપર જાયન્ટસ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની ટી-20 મેચ પર સટ્ટો રમાડી રહ્યો હતો. આરોપી અલ્ફાઝ કુરેશીની ધરપકડજેના પગલે પોલીસે રહેમત રેસિડન્સી ખાતે દરોડો પાડી આરોપી અલ્ફાઝને આઈફોન-8 પ્લસ સાથે રંગેહાથ પકડ્યો હતો. જેની તપાસ દરમિયાન તેના મોબાઈલમાં એક વેબસાઈટ ઓપન હતી. જેના પર તે આઈડી પાસવર્ડ દ્વારા ક્રિકેટ સટ્ટો રમી રમાડતો હોવાનું ખુલ્યું હતું. આઈડી આપનાર કડીનો શખ્સ વોન્ટેડજેની કડકાઈથી પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે તેણે આ સટ્ટાનું આઈડી કડીના મલ્હારપુરામાં રહેતા અલ્ફાઝ પઠાણ ઉર્ફે બંટી પાસેથી 20 હજાર રૂપિયામાં ખરીદ્યું હતું. પોલીસે 10 હજારની કિંમતનો મોબાઈલ અને 1,200 રૂપિયાની રોકડ મળી કુલ 11,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મામલે પોલીસે અલ્ફાઝ કુરેશીની ધરપકડ કરી આઈડી આપનાર કડીના શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 1:53 pm

દ્વારકા પોલીસ ચૂંટણી પહેલાં એલર્ટ:SP જયરાજસિંહ વાળાની બુટલેગરો, હિસ્ટ્રીશીટરોને કડક ચેતવણી

દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસને એલર્ટ કરી છે. તેમણે બુટલેગરો, હિસ્ટ્રીશીટરો અને મારામારી જેવા ગુનાઓમાં સંડોવાયેલા તત્વોને કડક ચેતવણી આપી છે. નાયબ પોલીસ અધ્યક્ષ સાગર રાઠોડ દ્વારા સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા હાલ કોઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે 'લાલ આંખ' કરીને કડક સંદેશ આપવામાં આવ્યો છે. આ ચેતવણીનો હેતુ ચૂંટણી દરમિયાન શાંતિ અને કાયદો જાળવવાનો છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 1:48 pm

પ્રસાદીમાં ઝેર ભેળવી આખા પરિવારને ખતમ કરવાનું કારસ્તાન:બુંદીના લાડુમાંથી દવાની ટીકડીઓ નીકળી; સુરતના સસરા-પુત્રવધુ મોતના મુખમાંથી બચ્યા, પાડોશી પર શંકા

સુરતમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેણે માનવતા અને પાડોશી ધર્મ પર સવાલો ઉભા કર્યા છે. ઉત્રાણ વિસ્તારની પોશ સોસાયટીમાં ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન 'પ્રસાદ'નો ઉપયોગ કરીને એક પરિવારને મોતના મુખમાં ધકેલવાનો પૂર્વઆયોજિત પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘરના દરવાજે લટકાવેલા ઝેરયુક્ત લાડુ ખાવાથી પરિવારના બે સભ્ય હોસ્પિટલના બિછાને પહોંચી ગયા હતાં. બે દિવસ મોતના મુખમાં રહ્યાં બાદ પરત ઘરે ફરેલા સસરા અને પુત્રવધૂએ પાડોશીનું કારસ્તાન હોવાની શંકા વ્યક્ત કરી છે. શું હતી સમગ્ર ઘટના?મળતી માહિતી પ્રમાણે, ઉત્રાણની લક્ઝુરિયસ સોસાયટી 'શાલીગ્રામ સ્ટેટ્સ'માં રહેતા ગોરધનભાઈ વશરામભાઈ ડોંડાના પરિવાર સાથે આ અઘટિત ઘટના બની છે. 10 એપ્રિલના બપોર બાદ જ્યારે ગોરધનભાઈ ઘરે પરત ફર્યા, ત્યારે તેમના ઘરના મુખ્ય દરવાજાના ઉંબરામાં એક થેલી પડી હતી. થેલી ખોલીને જોતા તેમાં બુંદીના લાડુ હતા. સામાન્ય રીતે ગુજરાતી સંસ્કૃતિમાં કોઈ પણ શુભ પ્રસંગ કે માનતા પૂરી થતા પાડોશીઓ પ્રસાદ વહેંચતા હોય છે, જેથી ગોરધનભાઈને કોઈ શંકા ગઈ નહોતી અને તેઓ આ 'પ્રસાદ' ઘરમાં લઈ ગયા હતા. પ્રસાદ ખાતા જ પરિવારની સ્થિતિ લથડીઘરમાં ગોરધનભાઇ અને તેમની પુત્રવધુએ આ લાડુ ખાધા હતા. જોકે, લાડુ ખાધાની ગણતરીની સમયમાં જ બંનેને તીવ્ર ચક્કર આવવા, સતત ઉલટીઓ થવી, ગભરામણ અને બેચેની થવી અને બેભાન થઈ જવા જેવી અસરો શરૂ થઈ હતી. સ્થિતિ ગંભીર જણાતા ત્રણેયને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બુંદીના લાડુમાં હતી ઝેરની ગોળીઓસારવાર દરમિયાન દર્દીઓની હાલત જોતા તબીબોને શંકા ગઈ હતી. જ્યારે બાકી બચેલા લાડુની તપાસ કરવામાં આવી, ત્યારે સૌના હોશ ઉડી ગયા હતા. લાડુની અંદરથી અનાજ સંઘરવા માટે વપરાતી ઝેરની ગોળીઓ મળી આવી હતી. ઝેરનું પ્રમાણ વધુ હોવાને કારણે ગોરધનભાઈની સ્થિતિ અત્યંત નાજુક થઈ ગઈ હતી અને તેઓ વેન્ટિલેટર પર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. પોલીસ તપાસ અને સીસીટીવી ફૂટેજઘટનાની જાણ થતા જ ઉત્રાણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સોસાયટીના સીસીટીવી તપાસતા 5 જેટલી શંકાસ્પદ વ્યક્તિઓ કેમેરામાં કેદ થઈ છે, જેમના આધારે પોલીસે તપાસ તેજ કરી છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, પાડોશમાં રહેતી કોઈ વ્યક્તિ સાથેના જૂના વિવાદને કારણે આ કૃત્ય આચરવામાં આવ્યું હોઈ શકે છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આ કોઈ અચાનક બનેલી ઘટના નથી, પરંતુ રેકી કરીને, પરિવાર ક્યારે હાજર હશે તે જાણીને કરવામાં આવેલું આયોજનબદ્ધ કાવતરું છે. મારા મમ્મીએ ના પાડી એટલે વધેલી બુંદી પણ હું જ ખાઈ ગઈઃ કિરણબેન હોસ્પિટલમાં સારવાર લઈ ઘરે પરત ફરેલા કિરણબેન નીલેશભાઈ ડોંડા (પુત્રવધુ)એ જણાવ્યું કે, આ બધું 10 તારીખે બન્યું હતું. બપોરે મારા સસરા ઘરે આવ્યા ત્યારે નીચે પેસેજમાં કોઈ 'પ્રસાદી' જેવું મૂકી ગયું હતું. હવે આપણને તો એમ જ હોય કે કોઈ પ્રસાદી આપી ગયું હશે, એટલે તે અંદર લઈને આવ્યા અને પ્રસાદી માનીને ખાધી. તે ખાઈને નીચે ગયા. પછી હું પાણી પીવા ઊભી થઈ ત્યારે મેં પણ થોડી ચાખી. મેં મારા મમ્મીને પણ ખાવા કહ્યું, પણ તેમણે ના પાડી એટલે એ પણ મેં જ ખાઈ લીધી. ‘મારાથી ઊભું પણ નહોતું થવાતું’થોડી વાર પછી ફોન આવ્યો કે, પપ્પાને કંઈક તકલીફ થઈ છે. મેં ફોન મૂક્યો ત્યાં તો મને પણ તેની અસર થવા માંડી હતી. તે દિવસે આમ પણ મારી તબિયત સારી નહોતી, પણ પછી તો હું સાવ ઢળી જ ગઈ. હું ઊભી થવા માંગતી હતી પણ મારાથી ઊભું પણ નહોતું થવાતું. મારી દીકરીએ પછી તેના પપ્પાને ફોન કર્યો અને અમે 108 દ્વારા કિરણ હોસ્પિટલ પહોંચ્યા. ‘સામેવાળા હોઈ શકે, તેમની દીકરી ભાગી ગઈ તેનું વેર છે’જ્યારે મારી દીકરીએ અને મેં અંદર જોયું ત્યારે ખબર પડી કે આમાં તો ગોળીઓ જેવું કંઈક છે, પણ ત્યાં સુધીમાં તો અમે તે ખાઈ લીધું હતું. પછી મારી છોકરીએ વધેલા લાડું કચરામાં નાખી દીધા. પછી પાછો એ લાડવો બહાર કાઢીને ફોટો એના પપ્પાને મોકલ્યો. આ કરનાર કોઈ જાણભેદુ જ હોય શકે. આટલા વર્ષ થયા અમારે કોઈના સાથે દુશ્મની નથી. અમને સામેવાળા પર પહેલેથી જ ડાઉટ હતો, કેમ કે તેમની છોકરીને લઈને મારી સાથે થોડુંક વધારે વેર હતું. તેમની ભાગી ગયેલી છોકરી મને ફોન કરતી હતી, એ એને નહોતું ગમતું. એની છોકરીએ મને સામે ચાલીને ફોન કર્યો હતો, મને તો ખબર પણ નહોંતી. એમને વહેમ છે કે, મેં તેમની છોકરીને ભગાડી છે, એટલે આવું કર્યું. પોલીસવાળા એને કાલે બપોરે ત્રણ વાગ્યાના લઈ ગયા હતા અને રાત્રે અગિયાર વાગ્યા સુધી ઘરે નહોતા આવવા દીધા. ‘વધારે ખાધા હોત તો મરી જ જાત’મારા ઘરની એણે પથારી ફેરવી નાખી! એને કરવું હતું તો મને લાફા મારી ગયા હોત, પણ આવું ન કરાય ને. આ તો ઠીક છે વધારે નહોતો ખાધો, બાકી તો અમે મરી જ જાત. અમારે પહેલા રિલેશનશિપ બહુ જ સારા હતા, પણ હવે આ રીતનું થયું એટલે બંધ થઈ ગયા. હવે મારે ફ્લેટ ખાલી કરીને જવું પડશે અથવા તેઓનેઃ ગોરધનભાઈગોરધનભાઈ ડોંડાએ જણાવ્યું હતું કે, 10 તારીખે 3 વાગ્યે ઘરે આવ્યો એટલે હું લાડું પ્રસાદી સમજીને ઘરમાં લઈ ગયો અને ડાઇનિંગ ટેબલ ઉપર મૂક્યું. પછી મેં આમાંથી એક બટકુ ખાધું અને મારી દીકરાની વહુએ એક બટકુ ખાધું. ત્યાર પછી કલાકે મને અસર થઈ. તે પછી તો હું નીચે ગયો હતો અને તબિયત બગડી હતી. મારી સાથે જે બધા બેઠા હતા એ મને દવાખાને લઈ ગયા. મારા બન્ને છોકરાઓ ફેક્ટરીએ હતા, એમને ફોન કર્યો કે, ગોરધનભાઈને આમ થયું છે. મને સામેવાળા ઉપર 100% શંકા છે. પોલીસ એને પકડી ગઈ છે. એમની સાથે અમારે કોઈ જાતનું વેરઝેર નથી. બે વર્ષથી અમારે એની સાથે કોઈ જાતનો સંબંધ નથી, તો શું કામ મારી સાથે આવું કર્યું? એ મને નથી ખબર. હવે મારે ફ્લેટ ખાલી કરીને જવું પડશે અને અથવા એને ફ્લેટ ખાલી કરીને જવું પડશે. મેં લાડવા વીખ્યા તો અંદરથી 3-4 ગોળીઓ નીકળીઃ ઈશાઈશા નિલેશભાઈ ડોંડા (દીકરી)એ જણાવ્યું કે, દાદા બાદ 5 વાગ્યાની આસપાસ મારા મમ્મીએ લાડવો ખાધો હતો. થોડો ટાઈમ થયો એટલે મમ્મીને ચક્કર આવવા લાગ્યા. તરત જ મારા કઝીન આંટીનો ફોન આવ્યો કે, બાપુજીને આવું થયું છે અને હાર્ટ-એટેકની અસર લાગે છે, તે પડી ગયા છે. એટલે પછી મમ્મીએ કીધું કે, ચક્કર તો મને પણ આવે છે. પછી મને ડાઉટ ગયો, એટલે પછી મેં લાડવા વીખ્યા તો અંદરથી 3-4 ગોળીઓ નીકળી. પછી મેં તરત પપ્પાને કીધું અને પપ્પાએ મને ફોટો મોકલ. મેં ફોટો મોકલ્યો. પછી પપ્પા કહે કે, એને તું મૂકી દે, એમાં ડ્રગ્સ જેવું લાગે છે. પછી મમ્મીને બહુ ચક્કર આવવા મંડ્યા અને ઉભી નહોતી રહી શકતી નહોંતી. પછી એમ્બ્યુલન્સ બોલાવીને અમે એને કિરણ હોસ્પિટલમાં લઈ ગયા. હવે આપણે કોઈની ઉપર શંકા ન કરી શકીએ. પોલીસવાળાએ હજી અમને કીધું નથી કે કોણે કર્યું છે? કહે છે કે ઇન્વેસ્ટિગેશન ચાલે જ છે. હવે મારું તો કહેવું એમ છે કે, ગમે તેટલા સારા પાડોશી હોય પણ એની ઉપર ભરોસો ન કરાય. આવું બની જાય પછી આપણું આખું મન ઉતરી જાય કોઈ પણ માણસ ઉપરથી.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 1:46 pm

મોઢેરા રોડ પર સૂર્યા કોમ્પલેક્ષની 3 દુકાનમાં મોડી રાત્રે આગ:મનપાની ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો, કપડા સહિતનો માલસામાન બળીને ખાખ

શહેરના મોઢેરા રોડ પર સૂર્યા કોમ્પલેક્ષમાં 12 એપ્રિલની મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. રાત્રિના અંદાજે 12 વાગ્યાના સુમારે કોમ્પલેક્ષમાં દુકાન નંબર 30, 31 અને 32માં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અગમ્ય કારણોસર લાગેલી આ આગની જ્વાળાઓ જોતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મહિલાએ ફાયર વિભાગને કરી હતી જાણઘટના અંગે કોમ્પલેક્ષમાં જ પાન પાર્લર ચલાવતા મિતલબેન ગોસ્વામીએ સતર્કતા દાખવી તુરંત મહેસાણા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ મહેસાણા મહાનગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. ફાયર ફાઈટરના જવાનોએ ભારે જહેમત બાદ અંદાજે 7000 લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. દુકાનમાં કપડા અને સામાન બળીને ખાખજોકે, આગ એટલી વિકરાળ હતી કે દરજીની દુકાનમાં રહેલો તમામ સામાન અને કપડાં બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે આ ઘટના મોડી રાત્રે બની હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ દુકાનદારોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 1:41 pm

રાજકોટમાં SIRની અસર:વોર્ડ નંબર 7 માં સૌથી વધુ મતદારો ઘટ્યા, વોર્ડ નંબર 11 માં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો, જાણો વોર્ડ વાઇઝ વિગતો

રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો ગણગણાટ શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ આ વખતે ચૂંટણીના મેદાનમાં ઉતરતા પહેલા રાજકીય પક્ષોએ બદલાયેલા આંકડાકીય સમીકરણોને સમજવા પડશે. રાજકોટમાં હાથ ધરવામાં આવેલા ધનિષ્ઠ મતદાર સુધારણા કાર્યક્રમ (SIR) ના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. આ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલી મતદારોની ફેર ગણતરી અને ચકાસણી બાદ શહેરના કુલ મતદારોની સંખ્યામાં 1,08,039 નો મોટો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2021 માં જ્યારે છેલ્લે મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ ત્યારે શહેરના 18 વોર્ડમાં કુલ 10,93,991 મતદારો નોંધાયેલા હતા, જે હવે 2026 ની આખરી મતદાર યાદી મુજબ ઘટીને 9,85,952 થઈ ગયા છે. મતદારોની સંખ્યામાં થયેલો વ્યાપક ફેરફાર SIR ની આ પ્રક્રિયા બાદ જે આંકડાઓ સામે આવ્યા છે તે મુજબ, શહેરના મોટાભાગના વોર્ડમાં મતદારોની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડા પાછળ ડબલ નામની બાદબાકી, સ્થળાંતર અને અવસાન પામેલા મતદારોના નામ રદ કરવાની કામગીરી મુખ્ય કારણ હોવાનું મનાય છે. જાતિવાર વિશ્લેષણ કરીએ તો, વર્ષ 2021 માં પુરુષ મતદારોની સંખ્યા 5,67,001 હતી, જે હવે 2026 માં ઘટીને 5,10,086 થઈ ગઈ છે. આમ, પુરુષ મતદારોમાં કુલ 56,915 નો ઘટાડો થયો છે. તેવી જ રીતે, સ્ત્રી મતદારોની સંખ્યા જે અગાઉ 5,26,970 હતી, તે હવે 4,75,848 નોંધાઈ છે, જેમાં 51,122 નો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત ત્રીજી જાતિના મતદારોની સંખ્યામાં પણ બે નો નજીવો ઘટાડો થયો છે, જે 20 થી ઘટીને 18 પર પહોંચી છે. વોર્ડ નંબર 11 અને 4 માં મતદારોનો વધારો આ આખી પ્રક્રિયામાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે શહેરના 18 વોર્ડમાંથી માત્ર બે જ વોર્ડ એવા છે જ્યાં મતદારોની સંખ્યામાં ઘટાડો થવાને બદલે વધારો થયો છે. વોર્ડ નંબર 11 માં સૌથી વધુ 13,384 મતદારો વધ્યા છે. વર્ષ 2021 ની ચૂંટણીમાં આ વોર્ડમાં 39,943 પુરુષ અને 36,819 સ્ત્રી તથા 2 ત્રીજી જાતિના મળી કુલ 76,764 મતદારો હતા. જે હવે 2026 માં વધીને 90,148 થઈ ગયા છે. આ વધારામાં 6792 પુરુષ અને 6592 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે વોર્ડ નંબર 4 માં પણ 90 પુરુષ અને 604 સ્ત્રી મતદારો સાથે કુલ 694 મતદારોનો વધારો નોંધાયો છે. આ વિસ્તારોમાં નવા રહેણાંક પ્રોજેક્ટ્સ અને વધતા જતા શહેરીકરણને કારણે મતદારોની સંખ્યામાં આ ઉછાળો જોવા મળ્યો હોવાનું અનુમાન છે. વોર્ડ નંબર 7 માં સૌથી મોટો ઘટાડો બીજી તરફ, રાજકોટના સેન્ટ્રલ ઝોન અને જૂના શહેરના વિસ્તારોમાં મતદારોની સંખ્યામાં મસમોટો ઘટાડો જોવા મળ્યો છે. વોર્ડ નંબર 7 માં સૌથી વધુ 13,113 મતદારો ઘટ્યા છે. આ વોર્ડમાં 2021 માં 60,681 મતદારો નોંધાયેલા હતા, જે SIR ની પ્રક્રિયા બાદ હવે માત્ર 47,507 રહી ગયા છે. આ વોર્ડમાં 6684 પુરુષ અને 6429 સ્ત્રી મતદારોના નામ યાદીમાંથી ઓછા થયા છે. આ ઘટાડો સૂચવે છે કે જૂના શહેરના વિસ્તારોમાંથી લોકો મોટા પાયે નવા વિકસી રહેલા વિસ્તારો તરફ સ્થળાંતર કરી રહ્યા છે. વોર્ડવાર ઘટાડાનું ચિત્ર શહેરના અન્ય વોર્ડની સ્થિતિ પર નજર કરીએ તો વોર્ડ નંબર 1 માં 4829, વોર્ડ નંબર 2 માં 10,794 અને વોર્ડ નંબર 3 માં 6003 મતદારોનો ઘટાડો થયો છે. વોર્ડ નંબર 2 માં થયેલો 10 હજારથી વધુનો ઘટાડો રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બની શકે છે. તો વોર્ડ નંબર 5 અને 6માં અનુક્રમે 7620 અને 7954 મતદારો ઘટ્યા છે. વોર્ડ નંબર 8 માં 9439 મતદારો ઘટ્યા છે, જોકે અહીં ત્રીજી જાતિના બે મતદારો વધ્યા છે. વોર્ડ 9 માં 3874 અને વોર્ડ 10 માં 5780 મતદારો ઓછા થયા છે. વોર્ડ 12 માં 1027 મતદારો ઘટ્યા છે, જ્યારે વોર્ડ 13 માં 8580 અને વોર્ડ 14 માં 11,583 મતદારોનો મોટો ઘટાડો નોંધાયો છે. કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ નંબર 15 માં 8857 મતદારો ઘટ્યા છે. વોર્ડ 16 માં 11,030 અને વોર્ડ 17 માં 10,458 મતદારોની સંખ્યા ઓછી થઈ છે. એટલું જ નહીં રાજકોટનો સૌથી મોટો વોર્ડ ગણાતો વોર્ડ નંબર 18, જે લગભગ સેન્ટ્રલ ઝોન જેટલો મોટો વિસ્તાર ધરાવે છે, ત્યાં આશ્ચર્યજનક રીતે સૌથી ઓછો ઘટાડો નોંધાયો છે. આ વોર્ડમાં માત્ર 1145 મતદારો જ ઓછા થયા છે, જેમાં 642 પુરુષ અને 503 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં મતદારોની સ્થિરતા અન્ય વોર્ડની સરખામણીએ વધુ જોવા મળી છે. આમ, રાજકોટ મહાનગરપાલિકાની 2026 ની ચૂંટણીમાં મતદારોની આ નવી સંખ્યા અને ખાસ કરીને સ્ત્રી-પુરુષ મતદારોના ઘટેલા આંકડા ઉમેદવારોની જીત-હારના માર્જિન પર મોટી અસર કરશે. તો રાજકીય પક્ષોએ હવે નવા આંકડા મુજબ પોતાના પ્રચાર પ્રસાર અને ગણિતમાં ફેરફાર કરવાની જરૂર પડશે. ખાસ કરીને જ્યાં મતદારો વધ્યા છે તેવા વોર્ડ નંબર 11 અને 4 માં નવા મતદારોને રીઝવવા અને જ્યાં મોટા પાયે ઘટાડો થયો છે ત્યાં બાકી રહેલા મતદારોના સમર્થનને મજબૂત બનાવવું એ પક્ષો માટે મોટો પડકાર રહેશે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 1:18 pm

સરદાર પટેલ યુનિવર્સિટીમાં GCAS પોર્ટલ તાલીમ યોજાઈ:કોલેજ કો-ઓર્ડિનેટરોને પ્રવેશ પ્રક્રિયાનું માર્ગદર્શન અપાયું

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓની સુવિધા માટે એક મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના એમ.પી. પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) પોર્ટલ અંગે કોલેજના આચાર્યો અને કો-ઓર્ડિનેટરોને માર્ગદર્શન અપાયું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયાને વેગ આપવાનો હતો. કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટી ગીતથી કરવામાં આવી હતી, ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સરદાર સાહેબનું સ્મૃતિ ચિન્હ આપી સ્વાગત કરાયું. આ પ્રસંગે કુલપતિ પ્રો. (ડૉ.) નિરંજનભાઈ પટેલે પ્રવેશ પ્રક્રિયામાં પારદર્શિતા અને ચોકસાઈ જાળવવા પર ભાર મૂક્યો હતો. GCAS ટીમના સભ્ય ડૉ. રાજેશ કોઠારીએ પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ કાર્યપદ્ધતિ સમજાવી. ડૉ. પારુલ દવેએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિદ્યાર્થીઓના હિતમાં પોર્ટલમાં થયેલા નવા સુધારાઓ વિશે વિગતવાર માહિતી આપી. એકેડેમિક વિભાગના નાયબ કુલસચિવ ડૉ. સૂર્યકાંત પારેખે કોલેજ અને સ્ટુડન્ટ લોગિનની ટેકનિકલ બાબતો સ્પષ્ટ કરી હતી. તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓ ઘરે બેઠા કેવી રીતે ફોર્મ ભરી શકે, કોલેજની પસંદગી, માર્કશીટ અપલોડ અને ઓફર લેટરના આધારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી પ્રવેશ કન્ફર્મ કરવાની પદ્ધતિ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતિમ ચરણમાં કોલેજ પ્રતિનિધિઓ દ્વારા પૂછવામાં આવેલા વિવિધ પ્રશ્નોનું GCAS ટીમ દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું. આ સમગ્ર તાલીમ કાર્યક્રમનું સંચાલન એકેડેમિક વિભાગના કર્મચારીઓ દ્વારા કરાયું હતું. અંતમાં, એકેડેમિક વિભાગના કાર્યાલય અધિક્ષક શ્રી મુકેશભાઈ રાણાએ આભારવિધિ કરી. કુલસચિવ ડૉ. ભાઈલાલભાઈ પટેલ અને શ્રી પાર્થભાઈ સુથાર સહિતના મહાનુભાવો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 1:06 pm

ભાજપ ઉમેદવારોનો વિરોધ થતાં નેતાઓ ભાગ્યા:ભુજના વોર્ડ નંબર 8 માં પ્રચાર દરમિયાન સ્થાનિકે અકસ્માત મુદ્દે ઘેર્યાં, જવાબ ન આપી શકતા ચાલતી પકડી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કચ્છમાં ભાજપના ઉમેદવારોને જનતાના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં ચૂંટણી પ્રચાર કરવા નીકળેલા ભાજપના ઉમેદવારોને સ્થાનિક નાગરિકે તીખા સવાલો પૂછતા ગભરાયેલા ઉમેદવારો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. અકસ્માત અને મોતના મુદ્દે ઘેરાયા ઉમેદવારવોર્ડ નંબર 8ના ભાજપના ઉમેદવાર મનુભા જાડેજા અને મનીષા સોલંકી જ્યારે પોતાના વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે સ્થાનિક જાગૃત નાગરિક દિગુભા જાડેજાએ તેમને અટકાવીને અગાઉ બનેલી એક દુર્ઘટના અંગે જવાબ માંગ્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે, 2 મહિના પહેલા એરપોર્ટ રોડ પર ભારે વાહનોની અવરજવરને કારણે અકસ્માત થયો હતો, જેમાં 2 યુવકોના મોત થયા હતા. તે સમયે તમે ક્યાં હતા? જવાબ આપવાને બદલે ચાલતી પકડીસ્થાનિક રહેવાસીના આક્રોશ અને ધારદાર સવાલોનો સામનો કરવાની હિંમત ઉમેદવારો બતાવી શક્યા નહોતા. પ્રજા વચ્ચે જવાને બદલે મનુભા જાડેજા અને મનીષા સોલંકી સ્થળ પરથી ઉતાવળે રવાના થઈ ગયા હતા. ઉમેદવારોનો આ રીતે પીછેહઠ કરતો વીડિયો હાલ સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. પ્રચારમાં શાસક પક્ષના ઉમેદવારોને મુશ્કેલીચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ, કોંગ્રેસ અને AAP દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ ભુજની આ ઘટનાએ શાસક પક્ષના ઉમેદવારો માટે મુશ્કેલી ઊભી કરી છે. પ્રજા હવે પાયાની સુવિધાઓ અને સુરક્ષાના મુદ્દે નેતાઓ પાસે હિસાબ માંગી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 12:57 pm

સુરેન્દ્રનગર LCB એ ચોરીનો ભેદ ઉકેલ્યો:₹3 લાખની ચોરીમાં MPની ગેંગની 2 મહિલા ધુળેથી ઝડપાઈ, ₹1.84 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ₹3 લાખની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. LCB એ આ અનડિટેક્ટેડ ગુનાનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં ચોરી થયેલા રૂપિયા અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹1,84,000/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આંતરરાજ્ય ચોરી કરતી મધ્યપ્રદેશની કડિયા સાસી ગેંગની બે મહિલા સભ્યોને ઝડપી પાડી છે. આ બંને મહિલા આરોપીઓની ધરપકડ મહારાષ્ટ્રના ધુળે ખાતેથી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર LCB દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 12:55 pm

પસવાડામાં અનંત અંબાણીનો જન્મોત્સવ:​અનંત અંબાણીના 31માં જન્મદિવસ નિમિત્તે પસવાડામાં ભવ્ય આયોજન: 8 હજાર લોકોએ લીધો પ્રસાદ, મહિલાઓને વસ્ત્ર સેવા અને રાત્રે લોકડાયરાની જમાવટ.

​જૂનાગઢના ભેંસાણ તાલુકાનું પસવાડા ગામ તાજેતરમાં એક ઐતિહાસિક અને યાદગાર પ્રસંગનું સાક્ષી બન્યું છે. રિલાયન્સ ગ્રુપના અંબાણી પરિવાર દ્વારા અનંત અંબાણીના 31માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે 'અનંત સેવા - નિસ્વાર્થ સેવા'ના સૂત્ર સાથે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પસવાડા સહિત આજુબાજુના પાંચ ગામોના પ્રસાદ સેવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં પસવાડા, સામતપરા, કરિયા, માલિડા, હડમતીયા અને પાટલા જેવા ગામોનો લોકોના જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું . ​દિવસના પ્રારંભે આયોજિત પ્રસાદ સેવામાં અંદાજે 8,000 જેટલા લોકોએ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભોજનનો લાભ લીધો હતો. અંબાણી પરિવારની ઉદારતાનો પરિચય ત્યારે મળ્યો જ્યારે પ્રસાદ લેવા આવેલી તમામ મહિલાઓને આદરપૂર્વક 'વસ્ત્ર સેવા' તરીકે સાડીઓ અર્પણ કરવામાં આવી હતી. આ ઉમદા કાર્યથી ગ્રામીણ મહિલાઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. પસવાડા ગામના સરપંચ જયસિંહ ભાટી એ જણાવ્યું હતું કે અનંત અંબાણીના જન્મદિવસને સેવા અને ભજનના માધ્યમથી ઉજવીને એક નવો રાહ ચીંધવામાં આવ્યો છે.રાત્રિના સમયે આયોજિત રંગારંગ ભવ્ય લોકડાયરાએ ગામની આબોહવાને ભક્તિ અને મનોરંજનથી ભરી દીધી હતી. લોકડાયરામાં ગુજરાતના નામાંકિત કલાકારો જેવા કે રાજભા ગઢવી, સાઈરામ દવે, દેવાંગી પટેલ અને વિમલ મહેતાએ પોતાની આગવી શૈલીમાં રજૂઆત કરી હતી. કલાકારોના સૂરોની લહેરમાં લોકો મોડી રાત સુધી હિલોળા લેતા રહ્યા હતા. આ કાર્યક્રમે સાબિત કરી દીધું કે સેવા અને ભજન જ્યારે એક સાથે મળે ત્યારે વાતાવરણ કેટલું સકારાત્મક બની જાય છે. ​આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે રિલાયન્સ ગ્રુપના ઉચ્ચ અધિકારીઓએ ખડેપગે રહીને ભારે જહેમત ઉઠાવી હતી. અધિકારીઓની ટીમમાં સરવ્યા સાહેબ, રાવ સાહેબ, રાવલ સાહેબ, મોરી સાહેબ અને ભાલિયા સાહેબ સહિતના નામી-અનામી અધિકારીઓએ કાર્યક્રમના સંચાલન અને સુવિધા માટે પ્રશંસનીય કામગીરી કરી હતી. પસવાડા ગામના સરપંચ જયસિંહ ભાટીએ તમામ ગ્રામજનોને સાથે રાખીને આ આયોજનને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. ​કાર્યક્રમના અંતે રિલાયન્સ ગ્રુપના અધિકારીઓ અને ગામના સરપંચ દ્વારા સેવા આપવા આવેલા તમામ લોકો તેમજ સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ આયોજન બદલ સમગ્ર પંથકના લોકોએ અંબાણી પરિવાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આમ, પસવાડાના આંગણે યોજાયેલો આ કાર્યક્રમ અનંત અંબાણીના જન્મદિવસને સાર્થક કરતા 'સેવા મહોત્સવ'માં ફેરવાઈ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 12:43 pm

બોટાદના લાઠીદડથી ભાજપે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો:કેન્દ્રીય મંત્રી, કિસાન મોરચા અધ્યક્ષે ખેડૂત સંવાદ યોજ્યો

બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. બોટાદના લાઠીદડ ગામે ભાજપ દ્વારા કિસાન સંવાદ કાર્યક્રમ યોજીને પ્રચાર શરૂ કરાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા અને પ્રદેશ ભાજપ કિસાન મોરચાના અધ્યક્ષ હિરેન હિરપરા ઉપસ્થિત રહ્યા હતા. કિસાન સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા અને પ્રદેશ ભાજપ કિસાન મોરચાના અધ્યક્ષ હિરેન હિરપરા ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, મહામંત્રી દીપક સાબવા, વિજય ધલવાણીયા, મંગળસિંહ ટાંક, અશોકભાઈ માથોળીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા અને પ્રદેશ ભાજપ કિસાન મોરચાના અધ્યક્ષ હિરેન હિરપરાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ શાસન દરમિયાન ખેડૂતો પાણી અને વીજળી જેવી સમસ્યાઓથી પરેશાન હતા, પરંતુ કોંગ્રેસના નેતાઓએ ક્યારેય તેમની સમસ્યાઓ પર ધ્યાન આપ્યું ન હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશમાં ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ દ્વારા ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું છે અને તેમને સશક્ત બનાવવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 12:40 pm

વેરાવળમાં જુગારધામ પર પોલીસનો દરોડો, 5 ઝડપાયા:LCBએ ₹50 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો, કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ

ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની કાર્યવાહી ચાલુ છે. આ અંતર્ગત, વેરાવળ શહેરમાં એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા એક જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં પાંચ શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. એલ.સી.બી.ની ટીમને મળેલી બાતમીના આધારે, વેરાવળના દિવાનીયા કોલોની વિસ્તારમાં પાણીની ટાંકી નજીક આવેલા એક મકાનમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ મકાનમાં ગેરકાયદેસર રીતે જુગાર રમાતો હતો. એલ.સી.બી.ની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પરથી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ તમામ આરોપીઓ સામે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દરોડા દરમિયાન ઝડપાયેલા આરોપીઓમાં જાવીદ ઉર્ફે અઘરો પીરભાઈ મલેક (રહે. વેરાવળ), ઇસ્માઇલ આદમભાઈ મહિડા (રહે. વેરાવળ), ઇકબાલભાઈ કાસમભાઈ વાજા (રહે. પ્રભાસ પાટણ), શબ્બીર ઇબ્રાહિમભાઈ થોબાત (રહે. પ્રભાસ પાટણ) અને અફઝલ અયુબભાઈ ભાદરકા (રહે. પ્રભાસ પાટણ)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹40,000 રોકડ રકમ, ₹10,000ની કિંમતના મોબાઇલ ફોન અને જુગારનું અન્ય સાહિત્ય જપ્ત કર્યું હતું. કુલ ₹50,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી દ્વારા પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં ગેરકાયદેસર જુગાર અને પ્રોહિબિશન જેવી પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં. આગામી સમયમાં પણ આવી કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 12:36 pm

પતિ દોઢ વર્ષની દીકરીને જબરદસ્તી લઈ ગયો:અભયમ્ ટીમે કાઉન્સેલિંગથી માતાને સંતાન પરત અપાવ્યું

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ઘરકંકાસના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં એક પતિ દોઢ વર્ષની દીકરીને જબરદસ્તી પોતાની સાથે લઈ ગયો. 181 અભયમ્ ટીમના હસ્તક્ષેપ અને કાઉન્સેલિંગ બાદ માતાને તેની દીકરી પરત મળતા મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલાયો. પ્રાપ્ત માહિતી અનુસાર, પીડિત મહિલા છેલ્લા કેટલાક સમયથી પોતાની દોઢ વર્ષની દીકરી સાથે પિયર ખાતે રહેતી હતી. આ દરમિયાન તેનો પતિ પિયર આવ્યો અને ઝઘડો કરી દીકરીને જબરદસ્તી પોતાની સાથે લઈ ગયો હતો. પરિવારજનો દ્વારા દીકરીને પરત મેળવવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા બાદ મહિલાએ 181 અભયમ્ હેલ્પલાઇન પર સંપર્ક કર્યો. કોલ મળતા જ 181 અભયમ્ વલસાડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર મામલાની વિગત મેળવી. મહિલાએ ટીમને જણાવ્યું કે તેના લગ્ન વર્ષ 2023માં થયા હતા અને પતિ નાની-મોટી બાબતોમાં વારંવાર ઝઘડો કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપતો હતો. જેના કારણે તે છેલ્લા 15 દિવસથી પિયર ખાતે રહેવા ગઈ હતી. ઘટનાને લઈને બંને પક્ષો વચ્ચે પંચાયત બેસાડવામાં આવી હતી, પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો. ત્યારબાદ અભયમ્ ટીમે બંને પક્ષોનું કાઉન્સેલિંગ કર્યું અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકની કસ્ટડી સામાન્ય રીતે માતાને મળવાની કાયદાકીય જોગવાઈ અંગે સમજ આપી. ટીમ દ્વારા પતિને સમજાવવામાં આવ્યું કે પત્ની અને બાળકની યોગ્ય સંભાળ રાખવી તેની જવાબદારી છે અને ભવિષ્યમાં આવા વિવાદોથી દૂર રહેવું જરૂરી છે. મહિલાએ હાલ થોડા દિવસ પિયર ખાતે રહેવાની ઇચ્છા વ્યક્ત કરતા પતિએ અંતે દીકરીને માતાને સોંપી દીધી હતી. દીકરી પરત મળતા મહિલાએ રાહતનો શ્વાસ લીધો હતો અને 181 અભયમ્ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 12:28 pm

સમી-હારીજ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એકનું મોત:બે બાળકો સહિત 4 ઘાયલ, ઈક્કો અને છોટા હાથી વચ્ચે જોરદાર ટક્કરના CCTV

પાટણ જિલ્લાના સમી-હારીજ હાઈવે પર 12 એપ્રિલ, 2026ના રોજ આઈશ્રી હોટલ સામે ઈક્કો ગાડી અને છોટા હાથી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે બાળકો સહિત 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત આઈશ્રી હોટલની સામે થયો હતો, જેમાં બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે ઈક્કો ગાડીમાં સવાર એક વ્યક્તિનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. આ સમગ્ર ઘટનાના લાઈવ CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અકસ્માતની ભયાનકતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સમી સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ 3 વ્યક્તિઓની હાલત અત્યંત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે તાત્કાલિક પાટણની હોસ્પિટલમાં રીફર કર્યા હતા. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સમી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો. હાઈવે પર અકસ્માતને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ સમી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી, વાહનોને હટાવી ટ્રાફિક સામાન્ય કરાવ્યો હતો અને આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 12:24 pm

વડોદરામાં તાલીમ દરમિયાન SRP જવાનનું મોત:SRP ગ્રુપ-1માં થઈ હતી નિમણૂક, ગ્રુપ-9 ખાતે તાલીમ લઈ રહ્યા હતા

વડોદરામાં તાલીમ દરમિયાન SRP જવાન દીપક દિનેશ બારિયા (ઉંમર.29)નું મોત થયું છે. તેમની SRP ગ્રુપ-1માં નિમણૂક થઈ હતી અને તેઓ ગ્રુપ-9 ખાતે તાલીમ લઈ રહ્યા હતા. છેલ્લા ચાર અઠવાડિયાથી તાલીમમાં જોડાયેલા હતા. સવારની પી.ટી. પરેડ બાદ તબિયત બગડી હતી. કપડાં બદલતા સમયે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. બાદમાં મિત્ર સાથે ડિસ્પેન્સરી તરફ જતા રસ્તામાં જ ઢળી પડ્યા હતા. ડોક્ટરે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી ઇન્જેક્શન અને બોટલ આપ્યા હતા બાદમાં SSG હોસ્પિટલ રીફર કરાયા હતા. ઇમરજન્સી વોર્ડમાં સારવાર દરમિયાન મૃત જાહેર કરાયા હતા. દીપક બારીયા મૂળ રાજપીપળા નજીકના તિલકવાડાના રહેવાસી છે. આ ઘટના સવારે 10 વાગ્યા આસપાસ બની હતી તેમને કોઈ અગાઉની ગંભીર બીમારી હોવાનું હજુ સામે આવ્યું નથી. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 12:22 pm

ચંદ્રુમાણામાં નાયક બંધુઓ દ્વારા ચૈત્ર માસની જાતર યોજાઈ:રાજા ભરથરી નાટક, મહાકાળી ગરબા સાથે ખપ્પરજ્યોત કરાઈ

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ચૈત્ર માસ નિમિત્તે નાયક બંધુઓ દ્વારા શ્રી ગૌરી માતાની જાતર પરંપરાગત રીતે યોજાઈ હતી. આ વર્ષો જૂની પરંપરામાં જાતર અને રાજા ભરથરીનું નાટક ભજવવામાં આવ્યું હતું. કુણઘેરના નાયક બંધુઓ દ્વારા દર વર્ષે ચૈત્ર સુદ નોમના દિવસે કુણઘેર ગામેથી જાતરની શરૂઆત કરવામાં આવે છે. આ જાતર પાટણ અને મહેસાણા જિલ્લાના વિવિધ ગામોમાં દેવી શક્તિની આરાધના માટે લઈ જવાય છે. જાતર પૂર્ણ થયા પછી બીજા દિવસે માતાજીના મંદિરે ઘૂઘરા છોડવામાં આવે છે. રવિવારે રાત્રે ચાચર ચોકમાં ભુંગળ વગાડીને જાતરનો આરંભ કરાયો હતો. આ પ્રસંગે રાજા ભરથરીનું નાટક ભજવવામાં આવ્યું હતું. ઉપરાંત, મહાકાળી માતાના ગરબા સાથે સગડી જ્યોત અને ખપ્પર જ્યોત પણ રાખવામાં આવી હતી. આ જાતરની અભિવ્યક્તિમાં વાસુદેવભાઈ નાયક, દિલીપભાઈ નાયક, રમેશભાઈ, ભરતભાઈ, સેવંતીભાઈ અને સતિષભાઈ સહિતના કલાકારોએ ભાગ લીધો હતો. ગામલોકોએ શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શન કર્યા હતા. બીજા દિવસે, સોમવારે શ્રી ગૌરી માતાના મંદિરે ઘૂઘરા છોડવાની વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે સરપંચ કાજલબેન ચેતનભાઈ વ્યાસ, અગ્રણી પ્રમોદભાઈ વ્યાસ, ભરતભાઈ રાવલ, ભરતભાઈ વ્યાસ, નીતિનભાઈ વ્યાસ, અશ્વિનભાઈ વ્યાસ, દિલીપભાઈ વ્યાસ, ભગાભાઈ વ્યાસ, કિશોરભાઈ ઠાકર સહિતના ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યથાશક્તિ લક્ષ્મી ભેટ અર્પણ કરી જાતરને માણી હતી. જાતરની પૂર્ણાહુતિ વખતે નાયક ભાઈઓએ ગામમાં સુખ-શાંતિ, સૌના સારા સ્વાસ્થ્ય અને દુઃખોના નિવારણ માટે તેમજ ગામલોકોમાં એકતા જળવાઈ રહે તેવી મંગલ કામના વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 12:18 pm

નવસારી સ્થાનિક ચૂંટણી: શિક્ષિત ઉમેદવારોનું મહત્ત્વ:આધુનિક રાજકારણમાં શિક્ષણ અને અનુભવનો સમન્વય

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે રાજકારણમાં શિક્ષણનું મહત્વ ચર્ચાનો મુખ્ય વિષય બન્યું છે. ૨૧મી સદીના બદલાતા ભારતમાં વહીવટી પ્રક્રિયાઓ વધુ જટિલ બનતા, શિક્ષિત ઉમેદવારોની ભૂમિકા નિર્ણાયક સાબિત થઈ રહી છે. આ સંદર્ભે, નવસારીના ઉમેદવારોએ પોતાના વિઝન રજૂ કર્યા છે. પરંપરાગત રીતે રાજકારણમાં લોકસંપર્ક અને અનુભવને પ્રાધાન્ય અપાતું હતું. જોકે, આજના ડિજિટલ ગવર્નન્સના યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ અને ઓનલાઈન સરકારી સેવાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે પ્રતિનિધિનું ટેક-સેવી હોવું જરૂરી છે. મહાનગરપાલિકા કે નગરપાલિકાના કરોડોના બજેટની ફાળવણી માટે આર્થિક સૂઝબૂઝ અને તાર્કિક નિર્ણયશક્તિ અનિવાર્ય છે. શિક્ષિત નેતા વહીવટી પ્રક્રિયાઓની ઊંડી સમજ ધરાવતા હોવાથી સિસ્ટમની ખામીઓ દૂર કરી પારદર્શક વહીવટ અને ભ્રષ્ટાચાર પર અંકુશ લાવી શકે છે. દિવ્ય ભાસ્કરે નવસારીના વિવિધ વોર્ડના ઉમેદવારો સાથે શિક્ષણ અને તેમના વિઝન અંગે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીતમાં ઉમેદવારોએ પોતાના વિચારો સ્પષ્ટપણે રજૂ કર્યા. વોર્ડ નંબર ૧૨માંથી કોંગ્રેસના યુવા મહિલા ઉમેદવારે જણાવ્યું કે તેઓ ધોરણ 12થી સામાજિક કાર્યકર તરીકે સક્રિય છે. તેમનો મુખ્ય હેતુ સરકારી ગ્રાન્ટો જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાનો છે. ઉપરાંત, પછાત વર્ગના બાળકો ધોરણ ૧૦ પછી અભ્યાસ ન છોડે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા એ તેમની પ્રાથમિકતા રહેશે. વોર્ડ નંબર 13માંથી ભાજપના મહિલા ઉમેદવાર, જેઓ બી.એસસી. મેડિકલ ટેકનોલોજી અને હોસ્પિટલ મેનેજમેન્ટનું શિક્ષણ ધરાવે છે, તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાજકારણમાં ભણેલા લોકોની ખૂબ જરૂર છે. તેમનું વિઝન માત્ર લોકોની નિષ્પક્ષ સેવા કરવાનું છે અને તેઓ પારદર્શક સેવા દ્વારા જનતાનો વિશ્વાસ જીતવા માંગે છે. ભાજપના ઉમેદવાર મુકેશ અગ્રવાલે શિક્ષણ અને અનુભવના સમન્વય પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે ટેકનોલોજી સમજવા માટે શિક્ષિત નેતા હોવા જરૂરી છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિમાંથી ઉપર આવેલા લોકોનું વ્યવહારિક જ્ઞાન પણ એટલું જ મહત્વનું છે. વિઝનરી નેતૃત્વ માટે આજના સમયમાં શિક્ષણ અનિવાર્ય છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 11:54 am

ભરૂચના નબીપુરમાં ચૂંટણી પૂર્વે પોલીસ ફ્લેગ માર્ચ:સંવેદનશીલ ગામોમાં કાયદો વ્યવસ્થા જાળવવા સઘન પેટ્રોલિંગ

ભરૂચ તાલુકાના નબીપુર વિસ્તારમાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. નબીપુર પોલીસ સ્ટેશન હેઠળ આવતા સંવેદનશીલ ગામોમાં સઘન પેટ્રોલિંગ સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. ખાસ કરીને બંબુસર ગામમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે ગામના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં પોલીસની હાજરી જોવા મળી હતી. ફ્લેગ માર્ચ દરમિયાન, પોલીસ અધિકારીઓએ ગ્રામજનોને નિર્ભય અને નિષ્પક્ષ રીતે મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે કોઈપણ અફવા, ગેરમાર્ગે દોરતી માહિતી અથવા શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપી હતી. આ કામગીરી પીઆઈ ટી.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી, જેમાં પીએસઆઈ ટી.આર. મોદી, પોલીસ સ્ટાફ અને જીઆરડીના જવાનો પણ જોડાયા હતા. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ જરૂરી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 11:49 am

ભાજપ ઉમેદવાર અવની સ્ટેમ્પવાળા વિરુદ્ધ પોસ્ટર લાગ્યા:પોસ્ટરમાં લખ્યું 'આ ઉમેદવાર યોગ્ય નથી', ભાજપના આગેવાન વિજય પવારની પણ વિવાદિત પોસ્ટ

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના મંડાણ થઈ ચૂક્યા છે. ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરી દેવાયા છે. તો કેટલાક ઉમેદવારો સામે અપપ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો હતો. શહેરના ગોત્રી વિસ્તારમાં વોર્ડ નંબર 10ના ભાજપના મહિલા ઉમેદવાર અવની સ્ટેમ્પવાળા વિરોધ પોસ્ટર વોર શરૂ થયો હતો. આ વિસ્તારમાં ઉમેદવાર યોગ્ય નથી તેવા પોસ્ટર લાગ્યા છે. બેનર થકી અસંતોષ વ્યક્ત કરવાનો પ્રયત્ન?શહેરમાં ઉમેદવારો સામે વિરોધ જોવા મળી રહ્યો છે. નારાજગી ખૂબ છે પરંતુ ખુલીને સામે આવી રહી નથી. ત્યારે કેટલાક લોકો આ રીતે બેનરો થકી પોતાની નારાજગી વ્યક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અથવા વિરોધીઓ પણ કાવતરા કરી શકે છે. શહેરના વોર્ડ 10માં ગોત્રી અને ભાયલી વિસ્તારમાં લાગેલા પોસ્ટર હાલ ચર્ચાનો વિષય બન્યા છે. 'એટલો પણ વિકાસ ન કરો કે લોકોએ કાદવમાં રહેવું પડે'ગોત્રી વિસ્તારના ચાર રસ્તા ઉપરના સર્કલ ઉપર બેનર લગાવવામાં આવ્યા હતા. જેમાં અવની સ્ટેમ્પવાલાના ફોટો ઉપર ચોકડી મારી નીચે લખ્યું છે કે ઉમેદવાર યોગ્ય નથી. આ ઉપરાંત અન્ય એક બેનર પર લખવામાં આવ્યું હતું. આ વાક્ય લખીને કટાક્ષ કરવાનો પ્રયાસ કર્યો છે. બેનર પર એન્ટી BJPનું હેશટેગઅવની સ્ટેમ્પવાલા સામે લાગેલા પોસ્ટર્સમાં નીચે હેશટેગ પણ આપવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં #anti bjp લખવામાં આવ્યું હતું. જો કે આ પોસ્ટર આ જ વોર્ડના અન્ય એક ઉમેદવાર કે જેઓ રિપીટ થયા છે તેઓ દ્વારા ઉતારી લેવડાવવામાં આવ્યા હતા. ત્યારે આ તો માત્ર એક જ વોર્ડની વાત છે. હજુ અનેક વોર્ડમાં આગામી દિવસોમાં અસંતોષ ફૂટીને બહાર નીકળે તો નવાઈ નહીં. રિઝર્વ પ્લોટ મુદ્દે પૂર્વ કાઉન્સિલરો પર પ્રહારભાજપના નેતા અને આ વખતે ઉંમરના કારણે ટિકિટ કપાતા દુભાયેલા નેતા વિજય પવારે પોતાના ફેસબુક ઉપર એક વિવાદિત પોસ્ટ મૂકી હતી. તેઓએ ભગવાન ગણેશને દર્શન કરતો ફોટો મૂકી લખ્યું છે કે, ગણેશજીને પ્રાર્થના કરું છું કે, આ વખતએ 76 કમળ જીતે. 6થી 7 કરોડ બજેટના પૈસા કે જે લોકોના ટેક્સના પૈસા છે તેનું વ્યવસ્થિત આયોજન સાથે વપરાય છે કે નહીં અને સાથે કામની ગુણવત્તા ચકાસી શકાય. લોકોને ટેક્સના પૈસાનું વળતર મળી રહે તે માટે ચૂંટીને મોકલે છે તે ભૂલી ન જવાય. ટીપીમાં પડેલા રિઝર્વ પ્લોટની ચિંતા કરી શકાય કોઈ ચોરી જાય કોઈ વેચી નાખે કોઈ દબાવી દે નહીં તેની ચિંતા કરી શકાય. કોઈ વેચી નાખે, કોઈ દબાવી દે નહિ તેની ચિંતા કરી શકાય. કટાક્ષમાં લખ્યું કે, હું તો 60 વર્ષ ઉપરનો થઈ ગયો છું કામ કરી શકતો નથી. 70 વર્ષનો થઈશ પછી પાછો મજબૂત થઈ પાછો કામ કરવા આવીશ. ઉલ્લેખનીય છે કે, રિઝર્વ પ્લોટની વાત છંછેડીને તેઓએ કેટલાક પૂર્વ કાઉન્સિલરો અને તેઓના મળતિયા આગેવાનો ઉપર સીધું નિશાન તાક્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 11:36 am

ઓખામાં IPL સટ્ટા પર LCBનો દરોડો:પાન દુકાનદાર ધીરેન્દ્ર કાષ્ટા ₹7,700 મુદ્દામાલ સાથે ઝડપાયો

દેવભૂમિ દ્વારકા LCBએ ઓખા દરિયાકાંઠે IPL-2026ની મેચો પર ચાલતા ઓનલાઇન ક્રિકેટ સટ્ટા પર દરોડો પાડ્યો છે. આ કાર્યવાહીમાં ઓખા આર.કે. બંદર મોરી ગેટ પાસે આવેલી જય સીયારામ પાન દુકાન પાસેથી ધીરેન્દ્ર મહેન્દ્રભાઈ કાષ્ટા નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ રેઇડ 12 એપ્રિલ, 2026ના રોજ સાંજે 18:50 કલાકે કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ધીરેન્દ્ર કાષ્ટા (ઉંમર 42, રહે. ઓખા) તેના મોબાઈલ ફોનમાં 99exch.live વેબસાઇટ પર ઓનલાઇન આઈડી મેળવી IPL ટ્રોફી-2026ની મેચોમાં રનફેર, વિકેટ, ઓવર અને હારજીતના પરિણામો પર પૈસાની લેવડદેવડ કરી ક્રિકેટ સટ્ટો રમી રહ્યો હતો. તેની અટકાયત સાંજે 19:50 કલાકે કરવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસે આરોપી પાસેથી રોકડા ₹2,700, એક મોબાઈલ ફોન (કિંમત ₹5,000) અને વેબસાઇટ સંબંધિત ફોટોગ્રાફ્સ પુરાવા તરીકે જપ્ત કર્યા હતા. આમ, કુલ ₹7,700નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ મામલે ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12(અ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા LCBના પોલીસ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ વનરાજસિંહ જાડેજા ફરિયાદી તરીકે નોંધાયા છે. આ કાર્યવાહીમાં LCBના એ.એસ.આઈ. જગદીશભાઈ વજસિભાઈ કરમુર રૂબરૂ અધિકારી તરીકે અને ઓખા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ જૈમિનભાઈ મહેન્દ્રભાઈ ડોડિયા દાખલકર્તા તરીકે સામેલ હતા. વધુ તપાસ ઓખા મરીન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. રમેશભા ધાંધાભા બઠિયા ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 11:26 am

તાનાશાહી છોડો તો જ ડીલ થશે: શાંતિ મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ ઈરાને અમેરિકાને બતાવ્યો અરીસો

Pezeshkian Warns US: મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ બાદ હાલ સીઝફાયર ચાલી રહ્યું છે. સીઝફાયર દરમિયાન શાંતિ સમજૂતી માટે અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં બેઠક યોજાઈ. જોકે બેઠકમાં શાંતિ મંત્રણા નિષ્ફળ રહી હતી. જે બાદથી અમેરિકા સતત ઈરાનને ધમકીઓ આપી રહ્યું છે. એવામાં ઈરાને પણ પોતાનું વલણ વધુ આક્રમક બનાવ્યું છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને સોશિયલ મીડિયા પર સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો વોશિંગ્ટન ઈરાની પ્રજાના અધિકારોનું સન્માન કરે અને પોતાની જીદ છોડે, તો જ કોઈ પણ સમજૂતી શક્ય છે.

ગુજરાત સમાચાર 13 Apr 2026 11:20 am

પાટીદાર ગઢમાં ભાજપ-આપ વચ્ચે ખરાખરીનો જંગ:કાનાણીનો પારો ગરમ, ‘સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ?’; ફેસબુક પર કમેન્ટ કરનાર 'આપ' કાર્યકર્તાની જાહેરમાં ઝાટકણી

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા છે. કાનાણી જ્યારે પોતાના વિકાસકાર્યોનું ફેસબુક લાઈવ કરી રહ્યા હતા, ત્યારે 'આપ'ના એક કાર્યકર્તાએ કરેલી કમેન્ટ બાદ વિવાદ વકર્યો છે. સામાન્ય રીતે શાંત જણાતા કાનાણીએ આ વખતે આક્રમક મિજાજ ધારણ કર્યો છે. વોર્ડ નંબર 3ના કાર્યાલય ઉદ્ઘાટન સમયે તેમણે આ કમેન્ટનો એવો જવાબ આપ્યો કે, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. બાપના પૈસા... વાળું નિવેદન બન્યું ચર્ચાનું કેન્દ્રકુમાર કાનાણીએ સભા ગજવતા કહ્યું કે, હું લાઈવમાં વિકાસની વાત કરતો હતો ત્યારે એક 'આપ' વાળાએ કીધું કે આ તો પ્રજાના ટેક્સના પૈસા છે. અરે ભાઈ, પ્રજાના જ પૈસા હોય ને! પણ હું એને પૂછવા માંગુ છું કે, ‘જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ?’ કાનાણીના આ તેખા તેવર જોઈને સભામાં હાજર કાર્યકર્તાઓ પણ જોશમાં આવી ગયા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે, સરકાર ગમે તેની હોય, તે જનતાના ટેક્સથી જ ચાલે છે, પણ ભાજપ તે પૈસાનો સાચો ઉપયોગ કરી રહી છે. ભ્રષ્ટાચારના મુદ્દે ‘આપ’ને ખિસ્સા ભરનારા ગણાવ્યાકાનાણીએ માત્ર જવાબ આપીને સંતોષ ન માન્યો, પણ આમ આદમી પાર્ટી પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા. તેમણે કહ્યું કે, અમે પ્રજાના પૈસા યોગ્ય જગ્યાએ વાપરીએ છીએ, અમે પૈસા ખાતા નથી. જ્યારે તમે લોકો (આપ) તો ભ્રષ્ટાચાર કરીને ખિસ્સા ભરો છો! તેમણે કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે, આપણે ઘરે-ઘરે જઈને આ લોકોને ખુલ્લા પાડવા પડશે અને ભાજપના શાસનમાં થયેલા પારદર્શક વહીવટનો હિસાબ આપવો પડશે. શિક્ષણના મુદ્દે ‘આપ’ના દાવાઓને પડકાર્યાઆમ આદમી પાર્ટી હંમેશા દિલ્હી અને પંજાબના શિક્ષણ મોડેલની વાતો કરે છે, જેની સામે કાનાણીએ સુરત મનપાની શાળાઓનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો હતો. તેમણે સવાલ કર્યો કે, કયા મોઢે આ લોકો શિક્ષણની વાતો કરે છે? સુરત મહાનગરપાલિકાની શાળાઓમાં ધોરણ 1થી 12 સુધી દીકરા-દીકરીઓને મફત શિક્ષણ આપવામાં આવે છે. તેમણે દાવો કર્યો કે, ભાજપના શાસનમાં સુરતની શાળાઓ ખાનગી શાળાઓને ટક્કર આપે તેવી બની છે, તેથી ‘આપ’ના જુઠ્ઠાણાં અહીં નહીં ચાલે. પાટીદાર ગઢ બચાવવા કાનાણીએ એડીચોટીનું જોર લગાવ્યુંસુરતના પાટીદાર વિસ્તારોમાં ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જે રીતે ગાબડું પાડ્યું હતું, તે ભાજપ ભૂલ્યું નથી. 27 બેઠકો પર મળેલી જીત બાદ આ વખતે 'આપ' વધુ આક્રમક છે, તો સામે પક્ષે કુમાર કાનાણીએ વરાછામાં ભાજપનો ગઢ અકબંધ રાખવા માટે મોરચો સંભાળ્યો છે. સોશિયલ મીડિયા પર થતી કમેન્ટ્સ અને ગ્રાઉન્ડ લેવલની લડાઈમાં કાનાણી હવે સીધા જ પ્રહાર કરી રહ્યા છે, જેથી કરીને પાટીદાર મતદારોમાં ભાજપ પ્રત્યે વિશ્વાસ વધારી શકાય. 26 એપ્રિલની જંગ: ભાજપ માટે પ્રતિષ્ઠાનો સવાલસુરત મહાનગરપાલિકાની 26મી એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ભાજપે પોતાના તમામ દાવ ખેલવાનું શરૂ કરી દીધું છે. ઉમેદવારોની જાહેરાત બાદ હવે સ્ટાર પ્રચારકો અને ધારાસભ્યો મેદાને પડ્યા છે. કુમાર કાનાણીના આ આક્રમક નિવેદને સુરતના રાજકારણમાં નવો વળાંક આપ્યો છે. હવે જોવાનું એ રહે છે કે 'આપ' ના કાર્યકર્તાઓ અને નેતાઓ કાનાણીના આ બાપના પૈસા વાળા કટાક્ષનો શું જવાબ આપે છે. સુરતની જનતા કોના વિકાસના દાવા પર મહોર મારશે તે તો ચૂંટણીના પરિણામો જ કહેશે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 11:17 am

કલોલના કાંઠામાં હડકમાઈ માતાના મેળામાં મહિલા ગેંગ સક્રિય:દર્શનની લાઈનમાં ઉભેલી યુવતીના ગળામાંથી 1.70 લાખની સોનાની ચેઈન તફડાવનાર મહિલા ઝડપાઈ, પોલીસે ગુનો નોંધ્યો

ગાંધીનગરના કલોલના કાંઠા ગામમાં હડકમાઈ માતાના મેળામાં ભીડનો લાભ ઉઠાવીને ભક્તોને નિશાન બનાવતી ગેંગનો પર્દાફાશ થયો હતો. અમદાવાદના અસારવા વિસ્તારથી દર્શન કરવા આવેલા એક પરિવારની યુવતીના ગળામાંથી 1.70 લાખની કિંમતની દોઢ તોલાની સોનાની ચેઈન તફડાવી લેવાના કેસમાં પાટણની કંચનબેન ઠાકોર નામની મહિલા વિરુદ્ધ કલોલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદની યુવતી દર્શન માટે ઉભી હતી ત્યારે ચેઈન ખેંચી લીધોઅમદાવાદના અસારવા કડીયાની ચાલીમાં રહેતા પાયલબેન પટણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, 12 એપ્રિલના રોજ સહપરિવાર સાથે કાંઠા ગામે દર્શન કરવા ગયા હતા. ત્યારે સાંજના સાડા પાંચ વાગ્યે મંદિરની બહાર મહિલાઓની લાઈનમાં ઉભા હતા. આ સમયે મંદિરના ઝાળીવાળા દરવાજા પાસે તેમની બહેન તનીશાના ગળામાંથી કોઈએ સોનાની ચેઈન ખેંચી હોવાનો અહેસાસ થયો હતો. આથી તનીશાએ તુરંત પાછળ જોતા બે અજાણી સ્ત્રીઓ ભાગતી જોવા મળી હતી. જે પૈકી એક મહિલાને પરિવારે સ્થળ પર જ પકડી પાડી હતી. બાદમાં પકડાયેલી મહિલાને મંદિર ટ્રસ્ટની ઓફિસમાં લઈ જઈ તપાસ કરવામાં આવી હતી. પરંતુ તેની પાસેથી સોનાની ચેઈન મળી આવી નહોતી. કલોલ પોલીસે ગુનો નોંધ્યો ફરિયાદીનો આક્ષેપ છે કે પકડાયેલી મહિલાએ ચોરી કરેલી આશરે 1.70 લાખની કિંમતની બિસ્કિટ આકારની ડીઝાઈનવાળી ચેઈન પોતાની સાથેની અન્ય અજાણી મહિલાને આપી દીધી હતી. પકડાયેલી મહિલાની ઓળખ કંચનબેન ઠાકોર (રહે. રાધનપુર રેલ્વે સ્ટેશન, પાટણ) તરીકે થઈ છે. આ મામલે કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 11:09 am

નોઈડામાં પગાર વધારા મુદ્દે બબાલ: ખાનગી કંપનીના કર્મીઓએ વાહનો ફૂંકી માર્યા, પોલીસ સાથે ઘર્ષણ

Noida Employess Protest: હરિયાણાના ગુરુગ્રામ બાદ હવે ઉત્તર પ્રદેશના નોઈડામાં પગાર વધારાની માંગણીને લઈને કર્મચારીઓએ ઉગ્ર પ્રદર્શન કર્યું છે. નોઈડાના ફેઝ-2 વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના કર્મચારીઓએ રસ્તા પર ઉતરી આવી તોડફોડ અને આગજની કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થિતિને કાબૂમાં લેવા પોલીસને આસુ ગેસના ગોળા છોડવાની અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

ગુજરાત સમાચાર 13 Apr 2026 11:01 am

જોરાવરનગરના રહેણાંક મકાનમાંથી 423 દારૂની બોટલો જપ્ત:સર્વેલન્સ સ્ટાફે રૂ. 2.09 લાખનો દારૂનો જથ્થો પકડ્યો

જોરાવરનગર સર્વેલન્સ સ્ટાફે જોરાવરનગરના એક રહેણાંક મકાનમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 423 નંગ દારૂની બોટલો જપ્ત કરી છે, જેની કિંમત આશરે રૂ. 2,09,500/- અંદાજવામાં આવી છે. આ કાર્યવાહી જોરાવરનગર મહાલક્ષ્મી મંદિર પાસે, શહેરી નંબર 11 માં આવેલા એક રહેણાંક મકાનમાં કરવામાં આવી હતી. સર્વેલન્સ સ્ટાફે દરોડા પાડીને નાની-મોટી ઇંગ્લિશ દારૂની બોટલો અને બિયરનો જથ્થો શોધી કાઢ્યો હતો. દારૂના જથ્થા ઉપરાંત, અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. દારૂ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂ. 6,04,500/- ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 10:45 am

સુરેન્દ્રનગર AAP વોર્ડ 8 ઉમેદવારોએ જનસંપર્ક કર્યો:મારૂતિનંદનના દર્શન કરી પ્રાથમિક સુવિધાઓ આપવાનું વચન આપ્યું

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP) ના વોર્ડ નંબર 8 ના ઉમેદવારોએ જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે. ઉમેદવારોએ પવનપુત્ર વીર હનુમાન મારૂતિનંદનના દર્શન કર્યા બાદ આ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. વોર્ડ નંબર 8 ના AAP ઉમેદવારોમાં સુરપાલસિંહ રાણા, રેખાબેન થરેસા, અફસાનાબેન શેખ અને હિતેષભાઈ વાળાનો સમાવેશ થાય છે. તેમણે સ્થાનિક રહીશોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા અને તેમની વિવિધ સમસ્યાઓનો નિકાલ કરવાની ખાતરી આપી હતી. ઉમેદવારોએ જણાવ્યું હતું કે, હાલ વર્ષોથી પાણીની સમસ્યા, ખરાબ રોડ-રસ્તા અને અન્ય પાયાની સુવિધાઓનો અભાવ છે. તેમણે વચન આપ્યું હતું કે જો તેમની પેનલ જીતશે, તો તેઓ વોર્ડ નંબર 8 ના લોકો માટે નિષ્ઠાપૂર્વક કામ કરશે અને તમામ સુવિધાઓ પૂરી પાડશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે, જેમાં AAP પણ પોતાની દાવેદારી નોંધાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 10:37 am

ભાજપમાં યાદવાસ્થળી!, સુરતમાં 300થી વધુ કાર્યકરોએ કાર્યાલય ઘેર્યું:સ્થાનિકને ટિકિટ ન મળતા કોળી-પાટીદાર સમાજે બાયો ચડાવી, અમદાવાદમાં ડેમેજ કંટ્રોલ માટે નેતાઓની મથામણ શરૂ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. શિસ્ત બંધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં સ્થાનિકો અને લાંબા સમયથી પાર્ટી માટે કામ કરતા કાર્યકર્તાઓને ટિકિટ ન મળતા અંદરોઅંદર વિવાદ શરૂ થયો છે. સુરતમાં ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરતાની સાથે જ પશ્ચિમ વિસ્તારમાં એટલે કે વોર્ડ નંબર 10 (અડાજણ-પાલ)માં અસંતોષનો જવાળામુખી ફાટી નીકળ્યો છે. ઉમેદવારની પસંદગીમાં પક્ષપાત અને સ્થાનિકોની અવગણનાના આક્ષેપો સાથે 300થી વધુ લોકો ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર ધસી ગયા હતા. પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે, પોલીસનો કાફલો તૈનાત કરવો પડ્યો હતો. અમદાવાદમાં પણ ભાજપમાં આંતરિક વિરોધ શરૂ થતાં પ્રદેશ અને શહેરના નેતાઓ અત્યારે ડેમેજ કંટ્રોલ માટે દોડધામ કરી રહ્યા છે. કેટલાક કાર્યકર્તાઓએ તો પ્રચાર ન કરવાની સાથે મતદાન ન કરવાનું પણ જણાવ્યું છે. સુરતમાં ગામડાના ઉમેદવારની અવગણના થતા બેનર સાથે વિરોધઅડાજણ ગામ, પાલ અને ભાઠા ગામના રહીશોએ એકત્ર થઈને ભાજપ હાઈકમાન્ડના નિર્ણય સામે રાત્રિના મોરચો માંડ્યો હતો. વિરોધ કરી રહેલા કાર્યકરો અને સ્થાનિકોનો મુખ્ય આક્ષેપ છે કે વર્ષોથી ભાજપ માટે પરસેવો પાડનારા સ્થાનિક ઉમેદવારોને બાકાત રાખીને ‘બહારના’ અથવા અજાણ્યા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી છે. લોકોએ હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજીને ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો ઘેરાવો કર્યો હતો. કોળી અને પાટીદાર સમાજમાં ભારે રોષ, 25 હજાર મતદારોની ચીમકીવોર્ડ નંબર 10માં વસ્તી ધરાવતા કોળી સમાજ અને કડવા પાટીદાર સમાજ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સામાજિક આગેવાનોનું કહેવું છે કે, દર વખતે ચૂંટણીમાં સમાજના યુવાનો તન-મન-ધનથી ભાજપ માટે કામ કરે છે, પરંતુ જ્યારે પ્રતિનિધિત્વ આપવાની વાત આવે છે, ત્યારે તેમની અવગણના કરવામાં આવે છે. સ્થાનિકોએ એકસૂરે ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં ઉમેદવાર બદલવામાં નહીં આવે તો અડાજણ અને પાલ વિસ્તારના આશરે 25 હજાર જેટલા મતદારો મતદાનનો બહિષ્કાર કરશે અથવા ભાજપની વિરુદ્ધમાં મતદાન કરશે. ‘5 વર્ષમાં મોઢું નથી બતાવ્યું’, મહિલાનો આક્રોશવિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં જોડાયેલી મહિલાઓએ પણ ભાજપ શાસકો સામે રોષ ઠાલવ્યો હતો. સ્થાનિક રહીશ અંજુબેને જણાવ્યું હતું કે, અમારા ગામમાં ભણેલા-ગણેલા અને સેવાભાવી યુવાનો હોવા છતાં ટિકિટ પરગામના લોકોને આપવામાં આવી છે. જે ઉમેદવારને ટિકિટ મળી છે તેમને અમે છેલ્લા પાંચ વર્ષમાં ક્યારેય જોયા નથી. જો અમારા ગામના વ્યક્તિને પ્રતિનિધિત્વ નહીં મળે તો અમે એક પણ મત આપીશું નહીં. પૂર્ણેશ મોદી દોડી આવ્યા, પોલીસ બંદોબસ્ત વચ્ચે સમજાવટના પ્રયાસસ્થાનિક કાર્યાલય પર 300થી વધુ લોકોનું ટોળું અને સતત વધતી ભીડને જોતા મામલો બિચકે તેવી સંભાવના હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તુરંત પોલીસ બોલાવવી પડી હતી. આ દરમિયાન, મામલો શાંત પાડવા માટે પૂર્વ મંત્રી અને નેતા પૂર્ણેશ મોદી તાત્કાલિક કાર્યાલય પર પહોંચ્યા હતા. તેમણે નારાજ કાર્યકરો અને સમાજના આગેવાનો સાથે બેઠક કરી તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાર્યકરો પોતાની માગ પર મક્કમ જોવા મળ્યા હતા. હાલમાં આ વિરોધ પ્રદર્શન સુરતના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. નાના હોદ્દા પર અન્યાય તો વિધાનસભામાં શું?: નરેશ પટેલનરેશ મોહનભાઈ પટેલે પણ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, કોળી પટેલ સમાજને સતત અન્યાય થઈ રહ્યો છે. જો મહાનગરપાલિકા જેવી નાની ચૂંટણીમાં પણ સમાજને ટિકિટ આપવામાં નહીં આવે, તો પછી વિધાનસભા જેવી મોટી ચૂંટણીઓમાં સમાજની અવગણના કેટલી હદે થશે? આ આક્રોશ માત્ર ટિકિટ માટે નથી, પરંતુ વર્ષોની વફાદારી સામે મળેલા અનાદર સામેનો છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ હાઈકમાન્ડ આ ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરે છે. અમદાવાદમાં પણ નારાજ કાર્યકર્તાઓને મનાવવા મીટિંગો શરૂરાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદમાં 48 વોર્ડ છે, જેમાં ચાંદખેડા, ઇન્ડિયા કોલોની, સરદારનગર જેવા વોર્ડમાં સ્થાનિક નેતાઓ દ્વારા ખુલીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ગોતા, નારણપુરા, સરદાર પટેલ સ્ટેડિયમ, નરોડા, સાબરમતી, વસ્ત્રાલ, અસારવા, શાહીબાગ, રાણીપ જેવા વિસ્તારોમાં કાર્યકર્તાઓ અને પૂર્વ હોદ્દેદારોમાં ક્યાંક ને ક્યાંક નાની-મોટી નારાજગી જોવા મળી રહી છે, પરંતુ તેનો ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવતો નથી. ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો અત્યારે હાલમાં ખૂબ જ નારાજ છે. આ સ્થિતિ વચ્ચે શહેરના નેતાઓ અત્યારે ડેમેજ કંટ્રોલ માટે મહેનત કરી રહ્યા છે. ડેમેજ કંટ્રોલ માટે નેતાઓને જવાબદારી સોંપાઈચાંદખેડા વોર્ડની જવાબદારી શહેર મહામંત્રી દર્શક ઠાકરને આપવામાં આવી છે. ઈન્ડીયા કોલોની અને સરદારનગર તેમજ નરોડા જેવા વોર્ડ માટે ગૌતમ કથિરિયાને જવાબદારી સોંપવામાં આવી રહી છે. નારાજ કાર્યકર્તાઓ અને પૂર્વ હોદ્દેદારો સાથે એક બાદ એક મળી અને તેમને સમજાવવામાં આવી રહ્યા છે. ઉમેદવારો જાહેર થયાના બીજા દિવસને જ શહેર ભાજપના કેટલાક નેતાઓને રાતોરાત દોડાવવામાં આવ્યા હતા અને આંતરિક રોષ ઠારવામાં આવ્યો હતો. જો કે હજી પણ કેટલીક જગ્યાએ કાર્યકરોમાં ખૂબ જ કચવાટ છે. બગીચામાં બેઠક, મહિલાએ પ્રચાર અને મતદાન ન કરવા કહ્યુંગાંધીનગર લોકસભામાં નારણપુરા વિધાનસભાના સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં પૂર્વ કોર્પોરેટર ઉમેદવાર તરીકે ફરીથી રિપીટ ન કરવામાં આવતા ભાજપ સામે નારાજ થયા હતા. ખાનગી રહે વિસ્તારમાં આવેલા એક બગીચામાં તેમણે કેટલાક લોકો સાથે મળીને બેઠક કરી હતી. જે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. બેઠકમાં ભાજપનો પ્રચાર ન કરીને બીજા પક્ષ ને ખાનગી રાહે ફાયદો અને મતદાન પણ ન કરવા માટેની રણનીતિ ઘડવામાં આવી હતી. રાજપૂત અને બ્રહ્મ સમાજમાં પણ રોષ, MLA સામે પણ વિરોધઅમદાવાદના નરોડા વિસ્તારમાં પણ રાજપૂત સમાજના લોકોને ઉમેદવાર નહીં લાવવાને લઈને સોશિયલ મીડિયામાં ભાજપના ધારાસભ્ય ડો. પાયલ કુકરાણીનો વિરોધ કરવામાં આવ્યો છે. બ્રહ્મ સમાજને પણ ટિકિટ મળી નથી, જેને લઇ નરોડા વિસ્તારના બ્રહ્મ સમાજના ગ્રુપમાં પણ મત ન આપવા અને ચૂંટણી બહિષ્કાર કરવા માટે સોશિયલ મીડિયામાં મેસેજ કરવામાં આવ્યા હતા, જેના સ્ક્રીનશોટ વાઇરલ થયા છે. ધારાસભ્યોની મનમાનીના કારણે કોઈકને કોઈક વોર્ડમાં સતત વિરોધ થઈ રહ્યો છે, ત્યારે હવે દિન-પ્રતિદિન વિરોધ સામે આવી રહ્યો છે. ગોતામાં OBCની જગ્યાએ અન્યને ટિકિટ આપતા રાજકીય માહોલ ગરમાયોગોતા વોર્ડમાં સૌથી વધારે માલધારી સમાજના મતો છે, પરંતુ ભાજપ દ્વારા માલધારી સમાજના યુવા અથવા અનુભવીને ટિકિટ આપવાની જગ્યાએ ઓબીસી સમાજમાંથી બીજા જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપી છે, જેના કારણે થઈને માલધારી સમાજ અને નેતાઓને ભારે નારાજગી જોવા મળી રહી છે. ગોતામાં બીપીન પટેલ (ગોતા)ને પણ માલધારી સમાજનો રોષ ઠારવા માટે કામે લગાડવામાં આવ્યા છે. રાણીપ વોર્ડમાં જે 2 પુરુષ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે તે બંને ઉમેદવારો ખાસ જાણીતા ચહેરા નથી. ભાજપના જ કાર્યકર્તાઓમાં ઉમેદવારની પસંદગીને લઈને આંતરિક વિરોધ છે. વસ્ત્રાલમાં પણ માત્ર નામના ઉમેદવારો આપવામાં આવ્યા છે. ખરેખર કામ કરનારા કોર્પોરેટરોને કાપી નાખવામાં આવ્યા હોવાની ચર્ચા છે. ઇન્ડિયા કોલોની વોર્ડમાં પણ ચર્ચા છે કે જે નેતાઓને ટિકિટ આપવામાં આવી છે, તેમાં પણ ક્યાંક ને ક્યાંક ગોઠવણ કરવામાં આવી છે. એવા ઉમેદવારો લઈ આવવામાં આવ્યા છે, જેથી ભાજપના વર્ષોથી કામ કરનારા કાર્યકર્તાઓને મૂકી અને બીજા લોકોને ટિકિટ આપવામાં આવે છે. નેતાઓના લોબીંગ અને જ્ઞાતિગત સમીકરણ સાધવામાં ભાજપ નબળીસૂત્રો મુજબ, ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગીમાં કેટલાક નેતાઓના લોબીંગ અને જ્ઞાતિગત સમીકરણ સાધવામાં ભાજપ નબળી પુરવાર થતાં આખરે કકળાટ સામે આવી રહ્યો છે. કેટલાક એવા ચહેરાઓને સ્થાન અપાયું કે જે નવા છે તો જુના, અનુભવી કાર્યકર્તાઓ અને પૂર્વ કોર્પોરેટરોનેને સાઇડ પર રાખવામાં આવ્યા છે. જો ભાજપમાં આ આંતરિક અસંતોષ કાબૂ કરવામાં સફળ નહિ રહે તો કેટલીક બેઠકો ઉપર નબળા પરિણામ ભોગવવા પડે એ સ્થિતિ સર્જાઈ છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 10:35 am

ભાવનગરની શાળા નં. 56 ને ₹2.15 લાખનું દાન:મુંબઈ નિવાસી કિર્તીભાઈ શાહે CCTV, સ્માર્ટ TV ભેટ આપી સુરક્ષા અને શિક્ષણ સુધાર્યા

ભાવનગર શહેરના ઇન્દિરા નગર વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વીર હમીરજી ગોહિલ પ્રાથમિક શાળા નં. 56 માં આધુનિક સુવિધાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. મુંબઈ નિવાસી દાતા કિર્તીભાઈ શાહ દ્વારા શાળાને આશરે ₹2.15 લાખનું દાન આપવામાં આવ્યું છે. આ દાન અંતર્ગત શાળાને 32 આઈપી CCTV કેમેરા અને 43 ઇંચનું સ્માર્ટ TV ભેટ સ્વરૂપે મળ્યા છે. આ ઉપકરણો શાળાના વિદ્યાર્થીઓ માટે સુરક્ષા અને શિક્ષણની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થશે. CCTV કેમેરાથી શાળા પરિસરમાં વિદ્યાર્થીઓની સુરક્ષા વધુ મજબૂત બનશે. જ્યારે સ્માર્ટ TV દ્વારા વિદ્યાર્થીઓને ડિજિટલ માધ્યમથી શિક્ષણ આપવાનું સરળ બનશે, જે આજના આધુનિક યુગમાં અત્યંત મહત્વપૂર્ણ છે. શાળા પરિવાર અને સ્થાનિક લોકોએ કિર્તીભાઈ શાહના આ ઉદાર યોગદાનની પ્રશંસા કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આવા દાનથી શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન આવે છે અને અન્ય દાતાઓને પણ પ્રેરણા મળે છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 10:27 am

વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી:'હોમિયોપેથી અને ન્યુરોસાયન્સ કઈ રીતે જોડાયેલા છે' તે વિષય પર સેમિનાર યોજાયો

હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા, અમદાવાદ યુનિટ દ્વારા અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન હોલ ખાતે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ હોમિયોપેથીના સ્થાપક ડોક્ટર સેમ્યુઅલ હેનેમેનની ૨૭૧મી જન્મજયંતિ નિમિત્તે ૧૨ એપ્રિલ, ૨૦૨૬ રવિવારના રોજ યોજાયો હતો. આ ઉજવણીના ભાગરૂપે, મુંબઈના જાણીતા હોમિયોપેથીક ડોક્ટર દિવ્યા છાબરાના પ્રવચનનું આયોજન કરાયું હતું. ડૉ. છાબરાએ 'હોમિયોપેથી અને ન્યુરોસાયન્સ કઈ રીતે જોડાયેલા છે' તે વિષય પર એક સેમિનાર રજૂ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન, ડોક્ટર સેમ્યુઅલ હેનેમેનને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ વિજેતા ડોક્ટર ભાસ્કર ભટ્ટનું અભિવાદન કરાયું હતું. ડોક્ટર હર્ષિત ત્રિવેદીએ હોમિયોપેથ્સ બેનેવોલન્ટ સોશિયલ સિક્યોરિટી સ્કીમ વિશે ઉપસ્થિત ડોકટરોને માહિતી આપી હતી. આ સેમિનારમાં અમદાવાદ શહેરના અનેક જાણીતા હોમિયોપેથિક ડોકટરો હાજર રહ્યા હતા. કુલ ૮૦થી વધુ હોમિયોપેથિક ડોકટરોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 10:22 am

સ્થાનિકોમાં ભય ફેલાવવાની ઘટના બાદ પોલીસ દોડતી થઈ:વટવા ચાર માળિયામાં મોડી રાત્રે મેગા કોમ્બિંગ, ત્રણ પીધેલા મળ્યા

અમદાવાદના વટવામાં જાહેરમાં કેટલાક શખસોએ તલવારો લઈને જમીન અને દીવાલમાં ઘા મારી સ્થાનિકોમાં ભય ઊભો કર્યો હતો. વટવામાં અસામાજિક તત્વો બેફામ બનતા ઝોન 6 ડીસીપીએ ગઇકાલે(12 એપ્રિલ) મોડી રાત્રે મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું. વટવામાં ચાર માળિયામાં મેગા કોમ્બિંગ દરમિયાન માત્ર એક દારૂ પીધેલો વ્યક્તિ મળી આવ્યો હતો જ્યારે 435 દારૂની બોટલનો કેસ કર્યો હતો. હથિયાર, લાકડી, ડંડા જેવા હથિયારોનો 1 કેસ કર્યો હતો. 75 આરોપીઓને તપાસવામાં આવ્યા હતા. વટવામાં મેગા કોમ્બિંગઝોન 6 ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે વટવા પોલીસ સ્ટેશન વિસ્તારના ચાર માળિયા ખાતે મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 55 બ્લોકમાં 75 જેટલા આરોપીઓને તપાસવામાં આવ્યા હતા. જે પણ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તે તમામ આરોપીઓને તપાસાયા હતા. 45 વાહનોનું ચેકિંગ કર્યું હતું. બે લોકો દારૂ પીને વાહન ચલાવતા હોવા અંગે કેસ કરવામાં આવ્યા હતા. પોલીસ મજબૂતાઈથી કામ કરે છે અને જે પણ ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે એવા લોકોને અમે છોડીશું નહીં. મેગા કોમ્બિંગમાં ઝોન 6 પોલીસ સ્ટેશન વિસ્તારના 10 અધિકારીઓ અને 100થી વધુ જવાનો દ્વારા ચેકિંગ કરાયું હતું. ચાર માળિયામાં પોલીસનું ચેકિંગવટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર રોડ ઉપર તલવારો વડે આતંક ફેલાવવાની ઘટના બાદ દોડતી થયેલી પોલીસે વટવાના ચાર માળિયા ખાતે મેગા કોમ્બિંગ કરવું પડ્યું છે. સામાન્ય લોકોમાં ભય ઊભો કરવાની ઘટના બાદ પોલીસ ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરે છે એવો સામાન્ય લોકો સુધી સંદેશ પહોંચે તેના માટે મેગા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. ભૂતકાળમાં વટવા વિસ્તારમાં અનેક મારામારી અને હત્યાના તેમજ હત્યાના પ્રયાસ જેવા બનાવો બની ચૂક્યા છે લોકો પાસે લાકડી અને દંડા તેમજ તલવાર જેવા હથિયારો મળી આવવા સામાન્ય બાબત બની ગઈ છે. પોલીસના મેગા કોમ્બિંગ બાદ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત રહેશે કે કેમ તેને લઈને પણ સવાલ છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 10:00 am

CUG ખાતે જ્યોતિરાવ ફૂલેની 200મી જન્મજયંતિ ઉજવાઈ:રાષ્ટ્રીય સેમિનારમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ પર ચર્ચા

ગાંધીનગર સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG) ખાતે મહાત્મા જ્યોતિરાવ ફૂલેની 200મી જન્મજયંતિ નિમિત્તે એક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનું સંયુક્ત આયોજન CUG, સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ (ભારત સરકાર) તથા ડૉ. આંબેડકર સેન્ટર ઓફ એક્સેલન્સ (DACE-CUG) દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી પ્રદ્યુમન વાજા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કુલપતિ પ્રો. અતનુ ભટ્ટાચાર્યએ અધ્યક્ષતા કરી હતી. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી.એસ. જોશી અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝાએ વિશિષ્ટ મહેમાન તરીકે હાજરી આપી હતી. મંત્રી વાજાએ તેમના સંબોધનમાં સામાજિક સમાનતા, સર્વજન શિક્ષણ અને મહિલા સશક્તિકરણ માટે ફૂલેના વિચારોની વર્તમાન સમયમાં પ્રસ્તુતતા પર ભાર મૂક્યો હતો. તેમણે યુવાનોને વિકસિત ભારતના નિર્માણ માટે ફૂલેના આદર્શોને અપનાવવા હાકલ કરી હતી. કુલપતિ પ્રો. ભટ્ટાચાર્યએ સમાજમાંથી અસમાનતાઓ દૂર કરવા માટે ફૂલેના વિચારોના અમલની આવશ્યકતા પર ભાર મૂક્યો. ડૉ. ટી.એસ. જોશીએ જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ ફૂલેના મહિલા શિક્ષણ ક્ષેત્રેના ઐતિહાસિક યોગદાનને રેખાંકિત કર્યું હતું. સેમિનાર દરમિયાન વિવિધ વિષયોના વિદ્વાનોએ રાજકીય ફિલસૂફી, સાહિત્ય, કૃષિ અને મનોવિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં ફૂલેના વિચારો પર સંશોધન પત્રો રજૂ કર્યા હતા. આ ઉપરાંત, યુનિવર્સિટી સ્તરની નિબંધ લેખન અને વક્તૃત્વ સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રો. દલપત ચૌહાણના ટૂંકી વાર્તાઓના સંગ્રહનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ સંગ્રહને ગુજરાતી દલિત સાહિત્યના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 180થી વધુ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો અને નાગરિકોએ ભાગ લીધો હતો. આયોજકોએ આ સેમિનારને ફૂલેના યોગદાન પર સમકાલીન ચર્ચાને પ્રોત્સાહન આપતી એક મહત્વપૂર્ણ શૈક્ષણિક પહેલ તરીકે ગણાવી હતી.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 9:51 am

સુરેન્દ્રનગર ભાજપના 52 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી:નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ શુભકામનાઓ પાઠવી, શિસ્ત જાળવવા તાકીદ કરી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, વઢવાણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. કુલ 52 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ મહાનગર પાલિકાની ચુંટણીમાં 52 ઉમેવારોમાં 22 જ્ઞાતિનો સમાવેશ કર્યો છે આ તમામ ઉમેદવારો ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના વિધાનસભા કાર્યાલય કર્તવ્યમ્ ખાતે સૌજન્ય મુલાકાતે પહોંચ્યા હતા. ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ તમામ ઉમેદવારોને મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ઉમેદવારોને શિસ્તબદ્ધ રીતે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા પણ તાકીદ કરી હતી. મકવાણાએ તમામ ઉમેદવારોને જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીના 13 વોર્ડ માટે ભારતીય જનતા પાર્ટીના 52 ઉમેદવારોએ માતાજી અને કુળદેવીના આશીર્વાદ લઈને ઉમેદવારી પત્રો ભર્યા હતા. આ ઉમેદવારોમાં વોર્ડ નંબર 1 થી 13 સુધીના નીચે મુજબના વ્યક્તિઓનો સમાવેશ થાય છે: વોર્ડ નંબર 1: ટ્વિંકલ પ્રકાશભાઈ ધરેજીયા, અંકિતાબેન ધીરુભાઈ બરીયા, દેવકરણભાઇ ગોકળભાઈ મરીયા, ભગીરથસિંહ જશુભા ઝાલા. વોર્ડ નંબર 2: પ્રિતીબેન મયુરભાઈ સોલંકી, હંસાબેન કિશોરભાઇ વસવેલીયા, નિરવભાઇ અશ્વિનભાઇ દવે, જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા. વોર્ડ નંબર 4: પૂર્વીબેન પ્રશાંતભાઇ પરમાર, શીખાબેન કશ્યપભાઇ શુક્લ, રવિન્દ્રભાઈ પ્રવિણભાઇ ચૌહાણ, જયદીપભાઇ ગોવિંદભાઈ ડાભી. વોર્ડ નંબર 5: સ્વાતિબેન નિલેશભાઇ માંડલીયા, મીનાબેન પિનાકીનભાઇ જોષી, જામાભાઈ પોપટભાઇ ગરીયા, મીલીંદભાઇ પ્રવિણચંદ્ર કોઠારી. વોર્ડ નંબર 6: જયશ્રીબેન દિનેશભાઇ દેત્રોજા, રમીલાબેન ચેતનકુમાર કાલીયા, બીપીનભાઈ જીવણભાઇ ખાંભલા, હેમેન્દ્રભાઈ અનિલભાઇ દફતરી, ડો. જનકબેન ભવાનસિંહ ટાંક, ઉર્મિલાબેન ઇશ્વરભાઇ પટેલ, રાકેશભાઇ કાનજીભાઈ રાઠોડ, મહેન્દ્રભાઇ કાંતિભાઇ પટેલ. વોર્ડ નંબર 7: પિન્ટુબેન જગદીશભાઇ અસાણીયા, મીનાબેન અશોકભાઈ મહેશ્વરી, ભુપેન્દ્રસિંહ હાલુભા રાણા, પ્રશાંતભાઈ સુરેશભાઇ ભટ્ટ. વોર્ડ નંબર 8: લાભુબેન ગેલાભાઈ મકવાણા, હિનાબેન મુકેશભાઇ થરેસા, ગજાનનભાઈ વિરજીભાઇ ચૌહાણ, અશોકસિંહ લાલુભા પરમાર. વોર્ડ નંબર 9: દિવ્યાબેન કૈલાસભાઇ મીયાવડા, ભારતીબેન નિલેષભાઇ ખોખાણી, પ્રદિપભાઈ ધીરૂભાઇ વસ્તાણી, શૈલેષભાઇ વિનાયકભાઇ મકવાણા. વોર્ડ નંબર 10: સોનલબેન ભરતભાઇ દવે, જશુબેન ઇશ્વરભાઇ વેગડ, ભાવેશભાઇ રતિલાલ પ્રજાપતિ, નિખીલભાઈ અરવિંદભાઈ ચાંપાનેરી. વોર્ડ નંબર 11: જશુબેન ભરતભાઈ ભરવાડ, ભાવનાબા ચંદ્રસિંહ મોરી, રાજેન્દ્રકુમાર પ્રભુદાસ રાઠોડ, મહેન્દ્રસિંહ ભરતસિંહ ગોહિલ. વોર્ડ નંબર 12: સ્મિતાબેન રાકેશભાઇ રાવલ, નેહલબેન રાજેશભાઇ હળવદીયા, હરપાલસિંહ ભુપતસિંહ લીંબડ, વનરાજસિંહ ભરતસિંહ સોલંકી. વોર્ડ નંબર 13: કુસુમબેન ઉદયભાઇ સોલંકી, રૈયાબેન વિજયભાઇ કાટોડીયા, ઇશ્વરભાઇ લખમણભાઇ ખાદલા, પ્રવિણભાઇ પરાગભાઈ પરમાર. આ તમામ ઉમેદવારોએ વિકાસના પંથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 9:50 am

ચંદ્રુમાણા ગામે સિકોતર માતાની ચૈત્રી રમેલ યોજાઈ:આ પ્રસંગે ભક્તિભાવપૂર્વક માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવી હતી

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે રામજી મંદિર મહોલ્લામાં ચંદ્રુમાણીયા પટેલ પરિવારો દ્વારા ચૈત્ર માસ નિમિત્તે શ્રી સિકોતર માતાની રમેલનું આયોજન શનિવારે રાત્રે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિભાવપૂર્વક માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ચંદ્રુમાણા ગામમાં આયરોનો વસવાટ ન હોવા છતાં, જૂના સમયમાં તેમનો વસવાટ હોવાનું મનાય છે. અહીં આયરોના સમયથી શ્રી સિકોતર માતાજી બિરાજમાન છે, જેમની પટેલ પરિવાર દ્વારા વર્ષોથી શ્રદ્ધાપૂર્વક પૂજા-ભક્તિ કરવામાં આવે છે. રમેલ દરમિયાન માતાજીની ધૂણ ગાદીએથી ઉપાસકોએ સૌને એકબીજા સાથે માળાના મણકાની જેમ જોડાઈ રહેવા અને ખોટા કામોથી દૂર રહેવાનો બોધપાઠ આપ્યો હતો. સિકોતર માતાના ઉપાસક રતિલાલ પટેલ, નાથબાઈ માતાના ઉપાસક સનાજી દરબાર, ભોગીલાલ પ્રજાપતિ, અંકિતભાઈ પટેલ સહિત અન્ય શક્તિ ઉપાસકોએ ઉપસ્થિત ભક્તોને કુશળ મંગળના આશીર્વાદ પાઠવ્યા હતા. આ ધાર્મિક પ્રસંગે ગ્રામજનો અને પટેલ પરિવારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ લીધા હતા. જેમાં રમેશભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, ડાહ્યાભાઈ પટેલ, મહાદેવભાઇ દેસાઈ, દયાળજીભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, મૂળજીભાઈ પટેલ, નવીનભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ સહિત અનેક ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 9:40 am

ગુજરાત યુનિ.માં રૂ. 30 કરોડથી વધુના ભ્રષ્ટાચારનો આક્ષેપ:બાંધકામના બિલને લઈ સિન્ડિકેટ બેઠકમાં ભારે હોબાળો, ખર્ચ નામંજૂર; કુલપતિ-રજિસ્ટ્રાર પાસે ખુલાસો માગ્યો

ગુજરાત યુનિવર્સિટીમાં બે દિવસ અગાઉ યોજાયેલી સિન્ડિકેટ બેઠક ભારે તોફાની રહી હતી. બેઠકમાં સભ્યોએ યુનિવર્સિટીના વહીવટમાં કરોડોના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરીને કુલપતિ નીરજા ગુપ્તા અને રજિસ્ટ્રાર પિયુષ પટેલ પાસે લેખિતમાં ખુલાસો માંગ્યો છે. આ મામલો હવે સરકાર સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વધારાના ₹34 કરોડના ખર્ચ પર વિવાદયુનિવર્સિટીની બાંધકામ કમિટી દ્વારા ટેન્ડરની રકમ કરતા ₹34 કરોડનો વધારાનો ખર્ચ મંજૂર કરવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. સિન્ડિકેટ સભ્યોએ આ પ્રસ્તાવને અટકાવીને બિલ નામંજૂર કર્યા છે. કન્સલ્ટન્ટ કંપની અને સમીર શુક્લા સામે આક્ષેપગુજરાત યુનિવર્સિટીમાં કન્સલ્ટન્ટ તરીકે ઓક્ટ્રસ નામની કંપની કામ કરી રહી છે, જેના માલિક સમીર શુક્લા મોટાભાગે ગુજરાત યુનિવર્સિટીમાં હાજર રહે છે. સમીર શુક્લની કંપનીએ બાંધકામના જે કામ માત્ર ભાવ આપ્યા હતા, તે કામ પૂર્ણ થયા બાદ આપેલા ભાવમાં 34 કરોડનો ખર્ચ વધારે કર્યો છે. જે કરોડોનો ખર્ચ મંજૂર કરાવવા ગુજરાત યુનિવર્સિટી દ્વારા સિન્ડિકેટ બેઠકમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેને લઈને હોબાળો થયો હતો. 3 વર્ષના કામોમાં કરોડોના ભ્રષ્ટાચારની આશંકાપૂર્વ કુલપતિ હિમાંશુ પંડ્યાના કાર્યકાળમાં 2022માં સમીર શુકલાએ કામ કરવાની ના પાડી હતી, છતાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોઈ કારણસર ટેન્ડર વિના સમીર શુક્લાની કંપનીને જ કામ આપવામાં આવી રહ્યું છે. 34 કરોડનો આંકડો તો માત્ર 2 બાંધકામ કમિટીનો જ છે, પરંતુ છેલ્લા 3 વર્ષમાં એક્સ્ટ્રા એક્સેસ (વધારાનો ખર્ચ) જોવામાં આવે તો કરોડો રૂપિયા છે, જેથી આ કરોડો રૂપિયાનો ફાયદો કરાવવા ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ થયા છે. FD વાપરવા, ગિફ્ટ સહિતના મુદ્દાઓનો પણ જવાબ માગ્યોઆ ઉપરાંત સિન્ડિકેટ સભ્યોએ અન્ય મુદ્દાઓ પર રજૂઆત કરી છે. જેમાં કેટલાક અધિકારીઓને બહારથી લાવીને સીધા બેસાડી દેવામાં આવ્યા છે, જેમનો 1.50 લાખથી 2.25 લાખ સુધીનો પગાર છે, તેમની ભરતીની વિગત માંગી છે. ગુજરાત યુનિવર્સિટીની FD કેટલી વાપરવામાં આવી છે? કોની મંજૂરીથી વાપરવામાં આવી છે? તેની વિગત માંગવામાં આવી છે. બે વર્ષમાં યુનિવર્સિટી દ્વાર કોને કેટલી ગિફ્ટ આપવામાં આવી છે? તેની પાછળ કેટલો ખર્ચ થયો છે? સેક્શન 8 કંપનીઓમાં કેટલો ખર્ચ નાખવામાં આવ્યો છે? આમ આ તમામ મુદ્દે કુલપતિ અને રજિસ્ટ્રાર પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 9:03 am

લખતર-વિરમગામ હાઈવે લોહીલુહાણ:બેફામ ગતિએ આવતા ટ્રકે પદયાત્રીઓને કચડ્યાં;એક જ પરિવારના 7 સભ્યોના મોત;ભરવાડ સમાજમાં માતમ

ગુજરાતના ધોરીમાર્ગો પર રક્તરંજિત અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે વહેલી સવારના સુમારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના આકાર પામી છે. લખતરના ભાસ્કરપરા ગામની સીમમાં બેફામ ગતિએ દોડતા એક ટ્રક ચાલકે શ્રદ્ધાના માર્ગે નીકળેલા પદયાત્રીઓના સંઘને કચડી નાખતા 7 લોકોના ઘટનાસ્થળે જ કરુણ અને હૃદયદ્રાવક મોત નિપજ્યા છે. કાળમુખા ટ્રકે કચડી નાખ્યાલખતર-વિરમગામ હાઈવે પર આવેલા છારદ અને ભાસ્કરપરા ગામ વચ્ચે ગતરાત્રે ડમ્પરની અડફેટે અકસ્માતની એક ભયાનક ઘટના સામે આવી છે. રાજકોટથી મેરા જઈ રહેલા ભરવાડ સમાજના યાત્રાળુઓના સંઘને આ ગોઝારો અકસ્માત નડ્યો હતો. રાજકોટથી નીકળેલા આ પદયાત્રીઓ જ્યારે છારદ અને ભાસ્કરપરા વચ્ચે પહોંચ્યા, ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે તેમને હડફેટે લીધા હતા. પાંચ મહિલા અને બે પુરુષના મોતઆ દુર્ઘટનામાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા, અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ 7 લોકોના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. અકસ્માતને પગલે યાત્રાળુઓની કરુણ ચીસોથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતા જ લખતર પોલીસ કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા ગેડીયા મહંત સહિત વિવિધ સમાજના અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ભરવાડ સમાજના એકસાથે 7 સભ્યોના મોતથી સમગ્ર માલધારી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાજકોટના ગઢકા ગામે સ્થિત મંદિરે સંઘ લઈને જતા હતાભીષણ અકસ્માતનો ભોગ બનનારા તમામ કમનસીબ મૃતકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ પદયાત્રીઓ પોતાની આસ્થાના પ્રતીક સમાન રાજકોટના ગઢકા ગામે સ્થિત મંદિરે સંઘ લઈને જઈ રહ્યા હતા, તે દરમિયાન લખતર-વિરમગામ માર્ગ પર કાળમુખા ટ્રકે તેમને પોતાની અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં 5 મહિલાઓ અને 2 પુરુષો એમ કુલ 7 સભ્યો કાળનો કોળિયો બની જતાં પરિવાર પર વજ્રઘાત થયો છે. આ અકસ્માતમાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ 7 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. રોડ પર ક્ષત-વિક્ષત હાલતમાં મૃતદેહ પ્રત્યક્ષદર્શીઓના હચમચાવી દેતા નિવેદન અનુસાર, બેકાબૂ ટ્રક ચાલકે અંદાજે 10 જેટલા યાત્રિકોને અડફેટે લીધા હતા. અકસ્માતની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે પદયાત્રીઓના પાર્થિવ દેહ હાઈવે પર લોહીલુહાણ હાલતમાં વેરવિખેર થઈ ગયા હતા. ટ્રકચાલક ફરારચીસ અને આક્રંદ વચ્ચે ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો અને 108ની ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથક અને ભરવાડ સમાજમાં ઘેરો શોક વ્યાપી ગયો છે, તેમજ હાઈવે પરની સુરક્ષા વ્યવસ્થા સામે પુનઃ ગંભીર પ્રશ્નાર્થ ચિન્હ ઊભા થયા છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 8:38 am

રસ્તા પર ઢોરનો આતંક અને નળમાં પાણીની તંગી:શું આ જ છે સુરેન્દ્રનગરની 'મહાનગરપાલિકા'?, વોર્ડ નં. 9માં 'સ્માર્ટ સિટી'ના સપના સામે પાયાની સુવિધાઓનો પણ અભાવ; જનતામાં ભારે આક્રોશ

રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ હવે પ્રથમવખત ચૂંટણીનો જંગ ખેલાવા જઈ રહ્યો છે. એપ્રિલ માસની કાળઝાળ ગરમીની સાથે અહીં રાજકીય પારો પણ ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને શહેરનો વોર્ડ નંબર 9, જેમાં ખેરાડી, ભોગાવો નદી કાંઠાનો વિસ્તાર, જંબુદ્વીપ નગર, સંજીવની સોસાયટી અને માંડવરાયજી નગર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે, ત્યાં અત્યારે જનતામાં શાસકો સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. દિવ્યભાસ્કર ડિજિટલની ખાસ સિરીઝ અંતર્ગત જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર તપાસ કરવામાં આવી ત્યારે, વિકાસના પોકળ દાવાઓની પોલ ખુલી ગઈ હતી. સુવિધાના નામે મીંડું, ટેક્સના નામે તોતિંગ વધારો વોર્ડ નં. 9ની મહિલાઓ અને વૃદ્ધોમાં વહીવટીતંત્ર સામે ભારે નારાજગી છે. સ્થાનિક મહિલા મતદાર ચંદ્રિકાબેન ઠક્કરે આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, અમારે મહાનગરપાલિકા જોઈએ છે કારણ કે, અમારે શહેરનો વિકાસ જોઈએ છે. પરંતુ, તંત્રને માત્ર ટેક્સ વધારવામાં જ રસ હોય તેમ લાગે છે. જો ટેક્સ વધારવો હોય તો એ જ પ્રમાણે સુવિધાઓ પણ આપવી પડેને? અહીં નથી રોડ-રસ્તાના ઠેકાણા કે નથી પાણીની પૂરતી વ્યવસ્થા. ત્રણ-ત્રણ દિવસે પાણી આવે છે અને તે પણ પૂરતા પ્રેશરથી મળતું નથી. રખડતા ઢોરનો આતંક અને સુરક્ષાનો અભાવ આ વિસ્તારની સૌથી મોટી અને ભયાનક સમસ્યા રખડતા પશુઓની છે. સ્થાનિક રહીશ ટ્વિંકલબેને જણાવ્યું હતું કે, રખડતા ઢોરોનો ત્રાસ એટલો વધી ગયો છે કે નાના બાળકોને ઘરની બહાર રમવા મોકલવા પણ જોખમી બન્યા છે. આ પશુઓ ગમે ત્યારે રાહદારીઓ પાછળ દોડે છે અને વાહનોને પછાડી દે છે, જેના કારણે અનેક વૃદ્ધો ઈજાગ્રસ્ત થયા છે. લોકોની માગ છે કે, મહાનગરપાલિકા આ રખડતા ઢોર માટે કોઈ કાયમી વ્યવસ્થા કરે જેથી નાગરિકો શાંતિથી રસ્તા પર ચાલી શકે. બિસ્માર રસ્તા અને બગીચાની દુર્દશા રામેશ્વર ટાઉનશીપ વિસ્તારમાં રહેતા જયાબેન પ્રજાપતિએ પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું કે, અમારા વિસ્તારમાં રસ્તાઓ એટલા ખરાબ છે કે, ચાલતા જતાં પણ પડી જવાય તેવી સ્થિતિ છે. વૃદ્ધોને બેસવા માટે કે બાળકોને રમવા માટે એક પણ સારો બગીચો નથી. જો બગીચો હોય તો વૃદ્ધો અડધો કલાક ત્યાં બેસીને આરામ કરી શકે, પણ અહીં તો ચારેબાજુ ગંદકી અને કચરાના ઢગલા જ જોવા મળે છે. આ ઉપરાંત, સામાન્ય વરસાદ કે વાતાવરણમાં પલટો આવતા જ કલાકો સુધી વીજળી ગુલ થઈ જવાની સમસ્યાથી પણ લોકો ત્રસ્ત છે. સરકારી કામકાજમાં ધક્કા અને વહીવટી શિથિલતા શારીરિક સુવિધાઓની સાથે વહીવટી પ્રક્રિયા પણ લોકો માટે માથાનો દુ:ખાવો બની છે. રાજેશભાઈ પ્રજાપતિ નામના મતદારે જણાવ્યું કે, આધાર કાર્ડ, રેશન કાર્ડ કે શોપિંગ લાયસન્સ જેવા પાયાના કામો માટે સરકારી કચેરીઓમાં અનેક ધક્કા ખાવા પડે છે. લોકોની માગ છે કે, વોર્ડ લેવલે કોઈ એવું સુવ્યવસ્થિત સેન્ટર ઊભું કરવામાં આવે જ્યાં સામાન્ય માણસનો સમય ન બગડે અને કામ ઝડપથી પતે. રાજકીય સમીકરણો અને જ્ઞાતિગત પ્રભુત્વ રાજકીય દૃષ્ટિએ જોઈએ તો વોર્ડ નં. 9માં જ્ઞાતિ સમીકરણો નિર્ણાયક સાબિત થશે. અહીં કુલ 21,704ની વસ્તીમાં OBC વર્ગના 12,385 અને SC વર્ગના 2,693 મતદરો છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે. જોકે, ભૂતકાળમાં અહીં ભાજપનું વર્ચસ્વ રહ્યું છે, પરંતુ આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવ અને રાજુ કરપડાના પક્ષ પરિવર્તન બાદ બદલાયેલા સમીકરણો ભાજપ માટે પડકારરૂપ બની શકે છે. મતદાર યાદીમાં થયેલો ફેરફાર પણ આ ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવશે. જિલ્લામાં ઘટેલા 21,415 મતદાર સામે નવા ઉમેરાયેલા 21,316 નવા મતદારને જે પક્ષ પોતાની તરફ વાળવામાં સફળ રહેશે, તેનો વિજય નિશ્ચિત મનાય છે. હાલમાં તો વોર્ડ નં. 9ની જનતા 'સુવિધા નહીં તો વોટ નહીં' ના મિજાજમાં દેખાઈ રહી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા: બેઠક અનામત માળખું કુલ વોર્ડ: 13 | કુલ બેઠક: 52 | કુલ વસ્તી: 2,66,733

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 8:00 am

સુરેન્દ્રનગરમાં લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે 10 પદયાત્રીને કચડ્યાં, 7 લોકોના કમકમાટીભર્યા મોત

Surendranagar Accident : ગુજરાતના હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. લખતરના ભાસ્કરપરા નજીક એક બેફામ ગતિએ આવતા ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા 7 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. એક જ પરિવારના 7 સભ્યોના મોતથી માતમ મળતી માહિતી મુજબ, આ અકસ્માતનો ભોગ બનનારા તમામ લોકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો હતા.

ગુજરાત સમાચાર 13 Apr 2026 7:54 am

ન્યૂઝીલેન્ડના નોર્થ આઈલેન્ડ પર 130 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટક્યું, હજારો લોકોનું સ્થળાંતર

New zeland Strom: ન્યૂઝીલેન્ડના ઉત્તરના ટાપુ (નોર્થ આઈલેન્ડ) ઉપર રવિવારે પ્રચંડ ચક્રવાત ત્રાટક્યો હતો. તેથી અનેક વૃક્ષો ધરાશાયી થયાં હતાં. વીજળીના થાંભલાઓ પણ પડી ગયા હતા. પરિણામે સેંકડો ઘરોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. સૌથી વધુ ભયજનક બાબત તો તે છે કે ન્યૂઝીલેન્ડના હવામાન વિભાગે જાહેર કર્યું છે કે, સંભવતઃ હજી પણ વધુ પ્રબળ તોફાન આવવાની ભીતિ છે.

ગુજરાત સમાચાર 13 Apr 2026 7:32 am

ભાજપના ધારાસભ્યના પત્નીએ પક્ષને ભીંસમાં મૂક્યો;વીડિયો:ધારી-બગસરાના જે.વી.કાકડિયા પત્નીએ કહ્યું-ભાજપસરકારે વિધર્મીઓના નાશ માટે ઝુંબેશ શરૂ કરી છે

અમરેલી જિલ્લાની ધારી-બગસરા બેઠકના ધારાસભ્ય જે.વી. કાકડિયાના ધર્મપત્ની અને ભાજપના અગ્રણી મહિલા નેતા કોકિલા કાકડિયાનો એક વીડિયો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પ્રચંડ વેગથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેમણે 'વિધર્મી' તત્વોના નાશ સંદર્ભે જે અભિવ્યક્તિ કરી છે, તેણે રાજ્યના રાજકીય ફલક પર વિવાદનો મધપૂડો છંછેડ્યો છે અને વિરોધ પક્ષોએ શાસક પક્ષને આડે હાથ લેવાની તક ઝડપી લીધી છે. એકબાજુ નામાંકન બીજી બાજું વિવાદિત નિવેદન આ સમગ્ર વિવાદનું ઉદગમ સ્થાન 11મી એપ્રિલની તે ઘટના છે, જ્યારે ધારગણી જિલ્લા પંચાયત બેઠક માટે ભાજપના અધિકૃત ઉમેદવારનું નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. તે વેળાએ જાહેરસભાને સંબોધતા કોકિલાબેન કાકડિયાએ માઈક પરથી સિંહગર્જના કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તેના સંગઠને હવે વિધર્મીઓનો નાશ કરવા માટે એક વ્યાપક ઝુંબેશનો પ્રારંભ કર્યો છે. નિવેદનથી વિવાદનો વંટોળ તેમણે પોતાના સંબોધનને વધુ ધારદાર બનાવતા ઉમેર્યું હતું કે, પક્ષે જ્યારે મહાવીરબાપુ જેવા સક્ષમ વ્યક્તિને ટિકિટ આપી છે, ત્યારે આપણે સૌએ સંગઠિત થઈને વિધર્મીઓનો સફાયો કરવો જોઈએ. ભાજપને વધુ શક્તિશાળી બનાવવા માટે જે દાવેદારોને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, તેઓ ભવ્ય વિજય પ્રાપ્ત કરે તેવી દાનમહારાજના ચરણોમાં અમે વંદના કરીએ છીએ. આ નિવેદનની ક્લિપ વાયુવેગે પ્રસરતા જ વિવાદના વંટોળે જોર પકડ્યું છે. વિપક્ષે ઉઠાવ્યા વિચારધારા સામે સવાલ આ તેજાબી નિવેદનના પગલે રાજકીય આલમમાં તીખી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે અને વિપક્ષી દળો ભાજપની વિચારધારા સામે સવાલો ઉઠાવી રહ્યા છે. સ્થાનિક સ્તરે આ આક્રોશ વધુ ઘેરો બને તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં સત્તાધારી પક્ષના એક જવાબદાર મહિલા હોદ્દેદાર દ્વારા આ પ્રકારની કઠોર ભાષાના પ્રયોગે વાતાવરણમાં ઉત્તેજના ભરી દીધી છે. રાજકીય સમીકરણો બગડવાના સંકેતઅત્રે ઉલ્લેખનીય છે કે, એકતરફ ભાજપે રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓ અને અમરેલી જિલ્લાની નગરપાલિકાની ચૂંટણીઓમાં લઘુમતી સમુદાયના ઉમેદવારો પર વિશ્વાસ મૂકીને તેમને ટિકિટ ફાળવી છે, ત્યારે બીજી તરફ 'વિધર્મીના નાશ' જેવા આલંકારિક પણ વિવાદાસ્પદ સૂત્રોચ્ચારો પક્ષ માટે કેટલીક બેઠકો પર રાજકીય સમીકરણો બગાડી શકે છે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 7:29 am

ભાસ્કર એક્સક્લુસિવ:કચ્છમાં વર્ષમાં 35 હજાર છાત્રોએ એસટીના પાસ કઢાવ્યા, વિભાગને 23.21 કરોડની આવક

વિસ્તારની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા જિલ્લા એવા કચ્છમાં એસ.ટી. નિગમ માટે વર્ષ 2025-26 આર્થિક રીતે ફળદાયી રહ્યું છે. જિલ્લામાં આવેલી અસંખ્ય નાની-મોટી કંપનીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને કારણે એસ.ટી. મુસાફર પાસ અને વિદ્યાર્થી પાસના આંકડાઓએ નવો રેકોર્ડ સર્જ્યો છે. કચ્છના અંતરિયાળ ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ભુજ, ગાંધીધામ કે આદિપુર જેવા શૈક્ષણિક કેન્દ્રો સુધી અપ-ડાઉન કરે છે. સરકારની રાહત દરની પાસ યોજનાને કારણે વિદ્યાર્થી પાસની સંખ્યા 34,976 સુધી પહોંચી છે, જેના થકી તંત્રને સૌથી વધુ 23.21 કરોડથી વધુની આવક થઈ છે. જિલ્લામાં મુન્દ્રા, અંજાર, ગાંધીધામ અને કંડલા પટ્ટામાં મોટી સંખ્યામાં કંપનીઓ આવેલી છે. આ કંપનીઓમાં કામ કરતા હજારો મધ્યમ વર્ગના કર્મચારીઓ સુરક્ષિત અને સસ્તી મુસાફરી માટે એસ.ટી. પાસ પર પસંદગી ઉતારી રહ્યા છે. વર્ષમાં કુલ 27,448 મુસાફર પાસ નીકળ્યા હતા જેના થકી એસટી વિભાગને 4,59,10,554 ની આવક થઈ છે. જિલ્લામાં એક તાલુકાથી બીજા તાલુકા વચ્ચેનું અંતર ઘણું વધારે છે. ખાનગી વાહનોમાં મુસાફરી કરવી સામાન્ય માણસને પરવડે તેમ ન હોવાથી, એસ.ટી. તંત્રની પાસ સેવા મુસાફરો માટે ઉપયોગી સાબિત થઈ રહી છે. જો તંત્ર દ્વારા ગાંધીધામ, માંડવી સહિતના વધુ રૂટ અને રાત્રીના સમયે બસોની સુવિધા ફાળવવામાં આવે, તો આગામી સમયમાં આ આંકડો હજુ પણ ઊંચો જઈ શકે છે. વર્ષ 2025-26નું આંકડાકીય વિશ્લેષણ પાસ કઢાવવા હવે લાઈનમાં નહીં ઉભવું પડે, ઓનલાઈન પ્રક્રિયા થશેGSRTC દ્વારા મુસાફરોની સુવિધામાં પાસની ઓનલાઇન પ્રક્રિયા ફરી એકવાર શરૂ કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી ટેક્નિકલ કારણોસર બંધ રહેલી ઓનલાઈન મુસાફર પાસ સેવા હવે ફરી ચાલુ થઈ છે. કચ્છમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો વિદ્યાર્થીઓ અને નોકરિયાતો દરરોજ એસટી બસમાં અપડાઉન કરે છે. અગાઉ મુસાફરોને પાસ કઢાવવા માટે ડેપો પર કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું, પરંતુ હવે મુસાફરો પોતાના મોબાઈલથી પાસની પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. મુસાફરો QR કોડ સ્કેન કરીને ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા પછી મુસાફર પોતાની અનુકૂળતા મુજબ બસ સ્ટેશન પરથી ફિઝિકલ પાસ મેળવી શકશે. મુસાફરે GSRTCની સત્તાવાર વેબસાઈટ કે પોર્ટલ પર જઈ પોતાની વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ રૂટ પસંદ કરી ઓનલાઈન ક્યુઆર કોડથી પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ સક્સેસ થયા બાદ જનરેટ થયેલી સ્લિપ બતાવીને નજીકના કોઈપણ એસટી ડેપો કે પાસ સેન્ટર પરથી સ્માર્ટ પાસની પ્રિન્ટ મેળવી શકાશે. 15 ના બદલે 18 દિવસ કરાતા પાસ ઘટ્યાનાણાકીય વર્ષ 2024-25માં કચ્છમાં એસટી દ્વારા 35,356 મુસાફર પાસ ઇસ્યુ કરાયા હતા. જેના પેટે 7,49,26,044 ની આવક થઈ હતી. જેની સામે નાણાકીય વર્ષ 2025-26માં 27,448 મુસાફર પાસ ઇસ્યુ થયા છે એટલે કે એક વર્ષમાં 7908 પાસનો ઘટાડો થયો છે. ગત વર્ષે 15 દિવસના પાસમાં 30 દિવસની મુસાફરી કરી શકાતી હતી જોકે, બાદમાં 15 ના બદલે 18 દિવસ કરાયા છે. નોકરીયાતને મહિનામાં 4 દિવસ વીક ઓફ હોય અને 18 દિવસનો પાસ લેવો પડતો હોવાથી વધારે તફાવત રહેતો ન હોવાથી સંખ્યા ઘટી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 7:27 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:ના. સરોવર બસ સ્ટેશનમાં મુસાફરો તડકામાં શેકાયા

કચ્છ જિલ્લાના લખપત તાલુકાના છેવાડે આવેલા સુપ્રસિદ્ધ અને પૌરાણિક તીર્થધામ નારાયણ સરોવર ખાતે દર્શનાર્થે આવતા યાત્રિકો અને સ્થાનિક લોકો માટે એસટી તંત્રની સુવિધાઓ હજુ પણ કાગળ પર જ મર્યાદિત હોય તેવો ઘાટ સર્જાયો છે. ગત માર્ચ 2025માં યાત્રિકોની સુવિધામાં વધારો કરવાના હેતુથી નવું એસટી બસ સ્ટેશન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ નવા બસ સ્ટેશનના નિર્માણને એક વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં, અહીં આવતા પ્રવાસીઓને પડતી અસુવિધાઓ હજુ પણ યથાવત નજરે પડી રહી છે. બસ સ્ટેશનનું બાંધકામ ભલે સારું થયું હોય, પરંતુ તેની ખામીયુક્ત ડિઝાઇન લોકો માટે માથાના દુખાવા સમાન બની છે. સ્થાનિક લોકો અને યાત્રિકોની ફરિયાદ મુજબ, આ નવા બસ સ્ટેશનનો શેડ ખૂબ જ ઊંચો બનાવવામાં આવ્યો છે. પરિણામે, બપોરના સમયે સૂર્યનો આકરો તડકો સીધો બસ સ્ટેશનની અંદર અને મુસાફરો માટે મૂકવામાં આવેલા બાંકડાઓ પર પડે છે. હાલમાં કાળઝાળ ગરમી ચાલી રહી છે, ત્યારે બપોર બાદ પેસેન્જરો આ બાંકડા પર બેસી શકતા નથી. છાંયડાના અભાવે આકરા તાપમાં શેકાવાને બદલે લોકોને ન છૂટકે જ્યાં છાંયો જોવા મળે ત્યાં આશરો લેવાનો વારો આવે છે. માત્ર ગરમી જ નહીં, પરંતુ ખરાબ હવામાન અને વરસાદના સમયે પણ આ ઊંચા શેડના કારણે વરસાદની વાછટ સીધી અંદર આવતા યાત્રિકો બસ સ્ટેશનમાં બેસી શકે તેવી પરિસ્થિતિ રહેતી નથી. આ સમસ્યાના હલ રૂપે લોકો જણાવી રહ્યા છે કે, જો બસ સ્ટેશનની પાછળની ખાલી જગ્યામાં નવા બાંકડા બનાવી દેવામાં આવે, તો યાત્રિકો ત્યાં પડતા છાંયામાં આરામથી બેસી શકે. નવું સ્ટેશન દુર હોવાથી વૃદ્ધો અને મહિલાઓને નવા બસ સ્ટેશન સુધી ચાલવાની મજબૂરીનારાયણ સરોવરમાં આખો દિવસ દરમિયાન આશરે 20 જેટલી એસટી બસોની આવન-જાવન રહે છે. નવું બસ સ્ટેશન બન્યું ત્યારથી સ્થાનિકો દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે કે તમામ એસટી બસો પેસેન્જરોને લેવા માટે ગામની અંદર આવેલા જૂના બસ સ્ટેશન સુધી આવે. નવું બસ સ્ટેશન ગામની બહાર અને થોડું દૂર હોવાથી મહિલાઓ, વૃદ્ધો અને નાના બાળકોને ત્યાં સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આજે પણ વાસ્તવિકતા એ છે કે મોટાભાગની એસટી બસો નવા બસ સ્ટેશનથી જ પેસેન્જરો લઈને રવાના થઈ જાય છે. માત્ર ગણતરીની બસો જ જૂના બસ સ્ટેશન સુધી આવે છે. આ કારણે અશક્ત અને વૃદ્ધ લોકોને ન છૂટકે દૂર સુધી ચાલવું પડે છે. ત્યારે એસટી વિભાગ વહેલી તકે તમામ બસો જૂના બસ સ્ટેશન સુધી આવે તેવી વ્યવસ્થા ગોઠવે તેવી લોકમાંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 7:21 am

3 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર:કચ્છમાં 18મી સુધી ગરમીની વકી, યલો એલર્ટ જાહેર કરાયું

કચ્છવાસીઓને ફરી એક વખત કાળઝાળ ગરમી સહન કરવી પડશે. હવામાન વિભાગ દ્વારા કચ્છ સહીત રાજ્યના અનેક વિસ્તારો માટે કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં અનેક કચ્છમાં ગરમીનું જોર વધી શકે છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં હિટવેવની પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને તે માટે હવામાન વિભાગ દ્વારા યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 18 એપ્રિલ સુધી વાતાવરણ સુકું રહેશે અને દરિયા કાંઠા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવા રહેવાની શક્યતા છે. જોકે અત્યાર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવે નવી કોઈ સિસ્ટમ ન બનતા ગરમીનો પારો વધી શકે છે. જીલ્લામાં છેલ્લા 4 દિવસથી તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઉનાળાએ હવે તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. અનેક શહેરમાં તાપમાન 4૩ ડિગ્રી સુધી પહોંચી જાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેથી નાગરિકોને ફરી આકરો તાપ સહન કરવો પડશે. હવામાન વિભાગે કચ્છમાં સૌથી વધુ તાપમાન નોંધાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. જેથી યલો એલર્ટ સાથે હિટવેવની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રવિવારે ભુજમાં 40.7, નલિયામાં 39.4, કંડલા પોર્ટ 40.7 અને કંડલા એરપોર્ટ વિસ્તારમાં 40 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં તાપમાનમાં 2થી 4 ડીગ્રી તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. લૂ અને હીટવેવ શું છે?હવામાન વિભાગ અનુસાર, જ્યારે મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે ગરમ હવા ફૂંકાવા લાગે છે. જો કોઈપણ વિસ્તારમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, તો તેને હીટ વેવની ખતરનાક શ્રેણી માનવામાં આવે છે. હીટ સ્ટ્રોકનું કારણ શું છે? આપણા શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે. પરંતુ ઉનાળા દરમિયાન આસપાસના વાતાવરણનું તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં જ્યારે આપણે તીવ્ર સૂર્યપ્રકાશ અથવા ગરમ હવામાં બહાર જઈએ છીએ, ત્યારે આસપાસનું વાતાવરણ આપણા શરીરનું તાપમાન વધારી દે છે. જ્યારે આપણા શરીરનું તાપમાન સામાન્ય શરીરના તાપમાન એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી જાય છે, ત્યારે આ સ્થિતિને હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 7:19 am

વોર્ડ 5માં ભાજપનો છબરડો:OBC સીટ પર જનરલ કેટેગરીના ઉમેદવારે ભર્યું ફોર્મ

ભુજમાં વોર્ડ નં. 5માં ચૂંટણી વ્યવસ્થાપનમાં શિસ્તબદ્ધ મનાતી પાર્ટી ભાજપની મોટી ભૂલ સપાટી પર આવી છે. પક્ષ દ્વારા અગાઉ આ વોર્ડ માટે મહેશ હંસરાજ વાણંદને ટિકિટ ફાળવાઈ હતી. જોકે, ટિકિટ અપાયા બાદ સામે આવ્યું કે તેમને 3 સંતાનો છે. નિયમો મુજબ 3 સંતાન ધરાવતા ઉમેદવાર ચૂંટણી લડી શકતા નથી. તેથી પક્ષને ઉમેદવાર બદલવાની નોબત આવી હતી અને રાજપૂત સમાજના હિરેન રાઠોડને ટિકિટ આપી હતી. તેમણે પોતાનું ફોર્મ પણ ભરી દીધું. પરંતુ, વોર્ડ નં. 5ની આ સીટ ખરેખર ‘ઓબીસી’ અનામત છે, જ્યારે રાજપૂત સમાજનો સમાવેશ ઓબીસીમાં નહીં, પરંતુ ‘જનરલ’ કેટેગરીમાં થાય છે. રવિવારે જ્યારે વાયુ વેગે આ બાબત જાહેર થઈ ત્યારે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી હતી અને સમાજના લોકોમાં પણ આ ગેરવહીવટથી નારાજગી જોવા મળી હતી. સોમવારે જ્યારે ફોર્મની ચકાસણી થશે ત્યારે હિરેન રાઠોડનું મૂળ ફોર્મ રદ થાય તેવી સંભાવના છે અને તેમના સ્થાને ડમી ઉમેદવારનું ફોર્મ માન્ય રાખવામાં આવે તેમ મનાય છે. જે પક્ષ પોતાની ચૂંટણીલક્ષી કામગીરીમાં અત્યંત શિસ્ત અને ચોકસાઈનો આગ્રહ રાખે છે, તે પક્ષે એક જ વોર્ડમાં સળંગ બે વખત આવી ગંભીર ભૂલો કરતા અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે. હાલ સૌથી મોટો અને તપાસ માંગી લેતો સવાલ એ ઊભો થયો છે કે, જો ઓબીસી અનામત સીટ પર જનરલ કેટેગરીના ઉમેદવારે ફોર્મ ભર્યું છે, તો તેની સાથે કોઈ ઓબીસી જ્ઞાતિનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું છે કે કેમ? તે દિશામાં પણ તપાસ થવી જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 7:18 am

લૂંટ:કેરા જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવારને છરી બતાવી લૂંટ ચલાવાઇ

તાલુકાના વરલી ગામે રહેતા અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેરા જિલ્લા પંચાયતની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદભાઈ મ્યાજરભાઈ બરાડીયા (આહિર)ને રસ્તામાં આંતરી, ત્રણ અજાણ્યા શખ્સોએ છરી બતાવી લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. પધ્ધર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગોવિંદભાઈ ભુજથી ચૂંટણીલક્ષી જરૂરી દસ્તાવેજો લઈને પોતાની મોટરસાયકલ પર પરત ફરી રહ્યા હતા. ત્યારે હાજાપર અને થરાવડા ગામ વચ્ચે ગઢવીભાઈની વાડી પાસે સામેથી આવતી અલ્ટો કારના ચાલકે લાઈટ ડીપર મારી તેમને ઉભા રાખ્યા હતા. બાઈક ઉભી રહેતા કારમાંથી ત્રણ યુવાનો નીચે ઉતર્યા હતા. જેમાંથી એક શખ્સે બાઈકની ચાવી કાઢી લીધી હતી. બીજાએ શર્ટના ખિસ્સામાં રહેલો વીવો કંપનીનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો. ત્રીજા શખ્સે છરી બતાવી ધમકાવ્યા હતા અને ખિસ્સા તપાસી તેમાં રહેલા ચૂંટણીના કાગળિયા લૂંટી લીધા હતા. ભોગ બનનારના જણાવ્યા અનુસાર, લૂંટ કરનારા ત્રણેય યુવાનો કચ્છી-ગુજરાતી મિશ્રિત બોલી બોલતા હતા. લૂંટ ચલાવ્યા બાદ તેઓ નંબર પ્લેટ વગરની અલ્ટો કારમાં બેસી થરાવડા તરફ ભાગી ગયા હતા. ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ગોવિંદભાઈએ પધ્ધર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. એક રાજકીય અગ્રણી અને ઉમેદવાર સાથે બનેલી આ ઘટનાને પગલે પધ્ધર પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 7:18 am

ભુજ વોર્ડ નં. 7:મધ્યમ વર્ગના વોર્ડ નં 7માં સમસ્યા અંશતઃ ઉકેલાઈ

વોર્ડ નંબર સાતમાં સૌથી મોટી વસાહત વસી છે તે સંસ્કાર નગરને વર્ષોથી વરસાદી પાણી ભરાવાનો અને છેલ્લા થોડા વર્ષોથી કોલેજ રોડ ઉપરના શોરૂમ સહિતની ડ્રેનેજ લાઈન આ બાજુ ઉતારી દેવામાં આવતા ગંદા પાણીનો પ્રશ્ન રહ્યો છે. જોકે બે મહિના પહેલા જ વૈકલ્પિક વ્યવસ્થા થઈ રહી છે પરંતુ તે જ્યારે સફળ થાય ત્યારે પરંતુ હાલ સંસ્કાર નગરના લોકો આ પ્રશ્નનો કાયમી ઉકેલ માંગે છે. બાકી અન્ય નાની-મોટી સોસાયટીઓ પાણીના વિતરણ અને માર્ગ માટે વારંવાર ફરિયાદ કરી ચૂકી છે નટવાસ અને કોડકી રોડ બાજુ માર્ગો નવા બને તેવું લોકો ઈચ્છે છે. મધ્યમ વર્ગનો આ વોર્ડ સામાન્ય રીતે સમસ્યાઓથી ઝઝૂમે છે પરંતુ રજૂઆત કરતો નથી. રખડતા ઢોરનો ત્રાસ બન્યો માથાનો દુખાવો, પાંજરે પુરવામાં પાલિકા નિષ્ફળરાવલવાડી રિલોકેશન, કૈલાશ નગર અને શક્તિ નગર સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે અને અસ્થિભંગ જેવી ગંભીર ઇજાઓ પહોંચી છે. તંત્ર દ્વારા ઢોરોને પકડવાના પ્રયાસો થયા હોવા છતાં સંપૂર્ણ નિવારણ આવ્યું નથી. ખાસ કરીને હાઉસિંગ બોર્ડ મકાનો આસપાસ રહેતા અને અનધિકૃત બાંધકામના રહેવાસીઓમાંથી અનેક લોકોએ દુધાળા ઢોર પાળ્યા છે. દૂધ દોહીને રસ્તે રઝળતા મૂકી દે છે. કોડકી રોડ અંગે વધતી નારાજગીમોટા ભાગના રીંગ રોડનું નવીનીકરણ થયા બાદ પણ કોડકી રોડ બાકી રહી ગયો છે. એરપોર્ટ રીંગરોડ પણ કરોડોના ખર્ચે મજબૂત બની રહ્યો છે ત્યારે આ વિસ્તારના રસ્તાઓ પ્રત્યે શા માટે ઉપેક્ષા કરવામાં આવે છે તેવો સવાલ અહીંના સ્થાનિકો પૂછે છે. આ વોર્ડના માર્ગોનું વર્ષોથી સમારકામ ન થતાં રસ્તાની હાલત બગડી છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. વિસ્તાર : કોડકી રોડ, નટવાસ, રામ રહીમ સોસાયટી, ઉત્કર્ષ સોસાયટી, પૂનમ સોસાયટી, ગાયત્રી કોલોની, સંસ્કાર નગર, લીમડા લેન, પ્રસાદી પ્લોટ, સંયુક્તા સોસાયટી, સત્યમ સોસાયટી, એસ. ટી. કોલોની, કૈલાશ નગર, શક્તિ નગર, રાવલવાડી રિલોકેશનન સાઈટ મતદારોની સંખ્યા

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 7:17 am

કચ્છમાં ચૂંટણીલક્ષી કામગીરી પૂરજોશમાં:1896 મથકો માટે 4 હજાર EVM તાલુકા મથકોએ રવાના

કચ્છમાં અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ પૂરેપૂરો ગરમાયો છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ હવે રણમેદાન તૈયાર છે અને ઉમેદવારોએ વિજયના સંકલ્પ સાથે પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. ગામડાઓથી લઈને શહેરની ગલીઓ સુધી હવે લોકશાહીના પર્વનો ગુંજારવ સંભળાઈ રહ્યો છે. એક તરફ રાજકીય પક્ષો મતદારોને રીઝવવામાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર પણ મતદાનની પ્રક્રિયાને ક્ષતિરહિત બનાવવા એક્શન મોડમાં છે. તાજેતરમાં જ કચ્છને ફાળવવામાં આવેલા નવા 9,000 EVM મશીનોનું પ્રથમ તબક્કાનું ચેકિંગ (FLC) પૂર્ણ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રવિવારે ભુજના મુખ્ય સ્ટ્રોંગ રૂમ ખાતેથી 4,000 જેટલા ઈવીએમ મશીનોને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વિવિધ તાલુકા મથકોએ રવાના કરવામાં આવ્યા હતા. તંત્રની સાવચેતી એવી છે કે કોઈ પણ આકસ્મિક સંજોગોમાં મતદાન પ્રક્રિયા અટકે નહીં. આ માટે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ નિયત સંખ્યા કરતા 10% વધુ ઈવીએમ મોકલવામાં આવ્યા છે. જો મતદાન સમયે કોઈ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાય, તો તુરંત જ ‘રિઝર્વ’ મશીન દ્વારા પ્રક્રિયા ચાલુ રાખી શકાય. નોંધનીય છે કે કચ્છમાં કુલ 1,196 બિલ્ડિંગોમાં 1,896 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. હાલ તમામ તાલુકા મથકોએ પહોંચેલા મશીનોને સુરક્ષિત સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા છે, જે મતદાનના દિવસે સીધા બુથ પર લઈ જવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 7:13 am

ભુજ પાલિકા ચૂંટણી મહાસંગ્રામ:કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા AIMIM મેદાને ઉતરી

ભુજ નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટેનો રાજકીય માહોલ ગરમાયો છે. ગત 2021ની ચૂંટણી કરતાં આ વખતનો જંગ વધુ રોમાંચક બની રહ્યો છે, જેનું મુખ્ય કારણ આમ આદમી પાર્ટી અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) જેવા નવા રાજકીય પક્ષોની એન્ટ્રી છે. આ નવા ખેલાડીઓના આગમનથી ભુજના રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર થવાની પૂરી સંભાવના છે. હાલમાં 2026ની ચૂંટણી માટે કુલ 133 ફોર્મ ભરાયા છે. જો ભૂતકાળ પર નજર કરીએ તો, 2021માં કુલ 149 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 6 પરત ખેંચાયા હતા અને 27 રદ થયા હતા. બિનહરીફ ઉમેદવારોની વાત કરીએ તો, 2021માં વોર્ડ નં. 9માં ભાજપના તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. આ વખતે ઇતિહાસ વોર્ડ નં. 11માં પુનરાવર્તિત થતો જોવા મળી રહ્યો છે. 2026માં વોર્ડ નં. 11માં કોંગ્રેસમાંથી માત્ર એક જ ઉમેદવારે ફોર્મ ભર્યું હોવાથી, આ વોર્ડમાં અત્યારથી જ 3 સભ્યો બિનહરીફ થઈ ગયા છે. આ ચૂંટણીમાં સૌથી વધુ રસપ્રદ જંગ વોર્ડ નં. 1 અને 2 માં ખેલાશે. ગત 2021ની ચૂંટણીમાં કોંગ્રેસે ભુજમાં કુલ 7 બેઠકો પર વિજય મેળવ્યો હતો અને આશ્ચર્યની વાત એ છે કે આ તમામ 7 બેઠકો માત્ર આ બે વોર્ડમાંથી જ આવી હતી (વોર્ડ નં. 1 માં ચારેય અને વોર્ડ નં. 2 માં 3 બેઠકો). આ બંને વોર્ડ કોંગ્રેસના પરંપરાગત ગઢ ગણાય છે. પરંતુ આ વખતે AIMIM પક્ષે વોર્ડ નં. 1 માં 4 અને વોર્ડ નં. 2 માં 1 ઉમેદવારને મેદાનમાં ઉતારીને કોંગ્રેસની વોટબેંકમાં સીધું ગાબડું પાડવાની રણનીતિ અપનાવી છે. મુસ્લિમ મતદારોના પ્રભુત્વવાળા આ વિસ્તારમાં હવે ચૂંટણી અત્યંત રસાકસીભરી બની છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ પણ મોટાભાગના વોર્ડમાં આક્રમક રવૈયો અપનાવ્યો છે. ‘આપ’ દ્વારા વિવિધ વોર્ડમાં ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે: વોર્ડ 1માં 4, વોર્ડ 2માં 3, વોર્ડ 3માં 4, વોર્ડ 4માં 2, વોર્ડ 5માં 3, વોર્ડ 6માં 3, વોર્ડ 8માં 1, વોર્ડ 9માં 1 અને વોર્ડ 10માં 4 ઉમેદવારો મેદાનમાં છે. આમ, બહુમતી વોર્ડમાં ત્રિપાંખિયો જંગ નિશ્ચિત બન્યો છે. જ્યારે સમગ્ર નગરપાલિકામાં માત્ર વોર્ડ નં. 7 જ એકમાત્ર એવો વોર્ડ છે જ્યાં કોઈ ત્રીજો પક્ષ ન હોવાથી સીધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સામસામી ટક્કર જામશે. 1 અને વોર્ડ 10માં 4 ઉમેદવારો મેદાનમાં છે. આમ, બહુમતી વોર્ડમાં ત્રિપાંખિયો જંગ નિશ્ચિત બન્યો છે. જ્યારે સમગ્ર નગરપાલિકામાં માત્ર વોર્ડ નં. 7 જ એકમાત્ર એવો વોર્ડ છે જ્યાં કોઈ ત્રીજો પક્ષ ન હોવાથી સીધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સામસામી ટક્કર જામશે. વોર્ડ વાઈઝ ફોર્મ (2026ના સંભવિત ફોર્મ છે) 15 એપ્રિલે ચિત્ર થશે સ્પષ્ટહાલ ભલે 133 ફોર્મ ભરાયા હોય, પરંતુ આગામી દિવસોમાં ચૂંટણી પંચના નિયમો મુજબ ડમી ફોર્મ અને જે ફોર્મમાં ભૂલ હશે તે રદ થવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ ઉપરાંત કેટલાક ઉમેદવારો પોતાનું ફોર્મ પરત પણ ખેંચી શકે છે. આ તમામ ચકાસણી અને ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 15 એપ્રિલના રોજ ભુજ નગરપાલિકાની ચૂંટણીનું સચોટ અને અંતિમ ચિત્ર બહાર આવશે. આ વખતે ઘણા જાણીતા ચહેરા મેદાનમાં ઉતરતા રસાકસીની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 7:13 am

વાપીની નિર્મલ સોસાયટીમાં લિફ્ટમાં પડી માળીનું મોત:CCTV ફૂટેજ સામે આવ્યા, મેઈન્ટેનન્સ પર સવાલ

વલસાડ જિલ્લાના વાપીમાં આવેલી નિર્મલ સોસાયટીમાં લિફ્ટમાં પડી જવાથી એક માળીનું કરુણ મોત થયું છે. લિફ્ટનો દરવાજો અચાનક ખુલી જતાં માળી ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. આ સમગ્ર ઘટના સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નિર્મલ સોસાયટીમાં કામ કરતો માળી ત્રીજા માળે લિફ્ટ પાસે ઊભો હતો. લિફ્ટ નીચે હોવા છતાં, ટેકનિકલ ખામી કે જાળવણીના અભાવે લિફ્ટનો સેફ્ટી દરવાજો અચાનક ખુલી ગયો હતો. અંધારામાં કંઈ સમજાય તે પહેલાં જ માળી લિફ્ટના શાફ્ટમાં ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. આ અકસ્માત એટલો શાંતિથી થયો કે શરૂઆતમાં કોઈને તેની જાણ ન થઈ. બીજા દિવસે સોસાયટીમાં દુર્ગંધ આવતા શંકા જાગી. લોકોએ લિફ્ટની તપાસ કરી અને CCTV ફૂટેજ જોયા, જેમાં માળી લિફ્ટના શાફ્ટમાં પડતો સ્પષ્ટ દેખાયો હતો. આ ઘટના બાદ સોસાયટીની લિફ્ટની જાળવણી કરતી કંપની સામે ગંભીર સવાલો ઊભા થયા છે. લિફ્ટ હાજર ન હોવા છતાં દરવાજો કેવી રીતે ખુલ્યો અને તેનું સમયાંતરે ચેકિંગ થતું હતું કે કેમ, તે મુદ્દે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે માળીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે લિફ્ટ મેઈન્ટેનન્સના દસ્તાવેજો અને CCTV ફૂટેજના આધારે જવાબદારો સામે કાર્યવાહી કરશે. આ ઘટનાએ વાપી અને વલસાડની અનેક હાઈરાઈઝ સોસાયટીઓમાં લિફ્ટની સુરક્ષા અંગે ચિંતા જગાવી છે. જાળવણીના નામે માત્ર સહીઓ કરી જતી એજન્સીઓ સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 7:05 am

સાહેબ મિટિંગમાં છે:કેબિનેટ મંત્રી પૂર્વ IPSની ઓફિસમાં ગયા ને ચર્ચાઓનો વંટોળ ફુંકાયો, ધારાસભ્યો જીદ્દે ચઢ્યા ને કલાકો સુધી ઉમેદવારોનું કોકડું ગૂંચવાયું

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... અમદાવાદના એક વિસ્તારમાં આવેલી એક સરકારી ગાડી અને પોલીસ કમાન્ડોની તૈનાતગીથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. ગાડીઓના કાફલાને જોતા લાગતું હતું કે, કોઈ વીઆઈપીની એન્ટ્રી થઈ છે. લગભગ 50 મિનિટ સુધી રોકાયા બાદ આ કાફલો એસપી રીંગ રોડ થઈને ગાંધીનગર તરફ જવા રવાનો થયો હતો. ત્યાર બાદ આસપાસના લોકોએ પણ પોતાની રીતે તપાસ કરાવી હતી અને વોટ્સએપ યુનિવર્સિટીમાં તેનો રિપોર્ટ આપ્યો હતો. જે મુજબ, એક કેબિનેટ મંત્રી કોઈને મળવા આવ્યા હતા. કોને એટલે એક પૂર્વ આઈપીએસ ઓફીસરને. સચિવાલયમાં ચર્ચા છે કે, આ આઈપીએસ અધિકારીનુ જમીન કૌભાંડમાં નામ ઉછળેલું છે. છેક વડાપ્રધાન સુધી ફરિયાદો પહોંચી હતી. ત્યાર બાદ આ અધિકારીને સાઈડલાઈન કરી દેવાયા હતા. આખરે તેમને સાઈડલાઈન ગણાતી પોસ્ટ પરથી જ તેઓ નિવૃત્ત થયા હતા. એક સમયે તેમનો દબદબો અદભુત હતો. જો કે, નિવૃત્તિ પછી અને દીલ્હીની કોઈ રહેમનજર નહીં હોવા છતાં હજુ પણ એક કેબિનટે કક્ષાના મંત્રી તેમની ઓફિસે મળવા જાય તે બાબત રહસ્યમય છે. મંત્રીને આ પૂર્વ આઈપીએસ અધિકારીની ઓફિસમાં જઈને મિટિંગ કરવાની શું જરૂર હતી એવા પ્રશ્નો લોકો એકબીજાને પૂછી રહ્યા છે. પંચાલની પરીક્ષા, પાવરફુલ કે નબળા? ભાજપના થોડો સમય પહેલા જ નિમાયેલા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સામે હવે પડકાર ઉભો થઈ રહ્યો છે. તેઓ પ્રમાણમા યુવાન હોવાથી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તેમજ પીએમ મોદીની ગુડબુકમાં હોવાથી હરીફોને તે બાબત પસંદ નથી આવતી. ઉપરાંત પ્રદેશ પ્રમુખ જેવો મોટો હોદ્દો પણ અપાયો હોવાથી પાર્ટીમાં જ કેટલાક આગેવાનો નારાજ છે. હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે. આ વખતે પ્રથમ વખત જ એવું થયું છે કે, ઉમેદવારોની પસંદગીમાં ભાજપમાં આટલો મોટો વિવાદ થયો હોય આવી અનિર્ણાયકતા આ અગાઉ ક્યારેય જોવા મળી નથી. ઉમેદવારોને મેન્ડેટ અપાયા બાદ તે મેન્ડેટને છેલ્લી ઘડીએ રદ કરીને નવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવુ ભાજપમાં થયુ છે. એટલું જ નહી ટિકિટ નહી મળતા જૂના કાર્યકરો-આગેવાનો પહેલી વખત જ સામે આવ્યા છે. તેઓએ સોશિયલ મીડીયામાં પણ ભાજપ સામે બળાપો કાઢ્યો છે. કેટલાય કાર્યકરો-આગેવાનોએ ભાજપમાંથી રાજીનામા ધરી દીધા હતા. રોષ અને આક્રોશ એટલો વ્યાપક હતો કે ભાજપના કાર્યાલય ખાતે અણબનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. સચિવાલયમાં ચર્ચા છે કે, આવી સ્થિતિથી પંચાલના હરીફો ખુશ છે. તેઓ અસંતુષ્ટોને વધુ ચાવી ભરી રહ્યા છે. જો આ ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થાય તો પંચાલ મોટું માથુ થઈને બહાર આવી શકે અને ભવિષ્યના સીએમપદના દાવેદાર બની જાય. આમ ન થાય તે માટે ભાજપની જ અંદરના નેતાઓએ પંચાલને પાડી દેવા માટેના સોગઠા ગોઠવવાનુ શરુ કરી દીધું છે. ઇન્ચાર્જ રાજમાં ગુજરાત GST, ગરબડના સંકેતોગુજરાત GST વિભાગ હાલમાં ઇન્ચાર્જના ભરોસે ચાલી રહ્યો છે કારણ કે કમિશનર આરતી કંવર દિલ્હી ડેપ્યુટેશન પર જતા પોસ્ટ ખાલી થઈ ગઈ છે અને તેનો ચાર્જ નાણા સચિવ ટી. નટરાજનને સોંપાયો છે, સાથે જ બે મહત્વની પોસ્ટ પણ ખાલી હોવાથી આખું તંત્ર એડજસ્ટમેન્ટથી ચાલે છે અને ચૂંટણી સુધી આ જ સ્થિતિ યથાવત રહેવાની ચર્ચા છે; આ વચ્ચે નોંધણી રદ પ્રક્રિયા સહિત કેટલીક બાબતોમાં ગરબડના સંકેતો મળી રહ્યા છે અને અંદરખાને એવી પણ ચર્ચા છે કે ઓડિટ દરમિયાન પણ આવી ખામીઓ પર ટિપ્પણી કરવામાં આવી છે, જેના કારણે વિભાગની કાર્યક્ષમતા અને આવક પર અસર અંગે સવાલો ઉઠી રહ્યા છે. જીએસ મલિક IPS એસોસિએશનને પ્રેસિડન્ટ બન્યાલાંબા સમયથી ખાલી રહેલી IPS એસોસિએશનની પ્રેસિડેન્ટ પોસ્ટ હવે ભરાઈ ગઈ છે. અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકને સર્વાનુમતે આ જવાબદારી સોંપાઈ છે.ખાસ કરીને રાજકીય નેતાઓ દ્વારા પોલીસ પર કરવામાં આવતી ટીકા સામે કડક વલણ અપનાવવાનો સંકેત આપ્યો છે. હોમ સેક્રેટરી નીપુણા તોરવણે સેક્રેટરી અને એન્ટીકરપ્શન ડાયરેક્ટર પીયૂષ પટેલ ઉપપ્રમુખ બનતાં આખી ટીમ તૈયાર થઈ ગઈ છે. હવે જોવાનું એ છે કે આ એસોસિએશન ખરેખર મેદાનમાં ઉતરે છે કે કાગળ સુધી જ સીમિત રહે છે. ‘રમતોત્સવ’માં CM ન આવ્યા, 7 દિવસ પછી DyCMના ફોટો ચમક્યાગાંધીનગરના રમતોત્સવ-2026માં ખેલાડીઓ કરતાં વધુ ચર્ચા બેનરોની થઈ રહી છે. 1 એપ્રિલે કાર્યક્રમની શરૂઆત વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ફોટો અને નામ સાથેના બેનરો લગાવવામાં આવ્યા હતા, કારણ કે તેઓ કાર્યક્રમમાં આવવાના હોવાનું કહેવાતું હતું. પરંતુ મુખ્યમંત્રી આવ્યા નહીં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રમતોત્સવનો પ્રારંભ કરાવ્યો, તેમ છતાં થોડા દિવસ સુધી એ જ બેનરો યથાવત્ રહ્યા. ત્યારબાદ તાજેતરમાં જ અચાનક તમામ બેનરો બદલાઈ ગયા અને તેમાં ગાંધીનગરના પ્રભારી તરીકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નામ અને ફોટો મૂકાઈ ગયો. કાર્યક્રમ તો 1 એપ્રિલથી શરૂ થઈ ગયો હતો, પરંતુ થોડા દિવસ પછી ક્રેડિટ અને ચહેરો બદલાતા રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ માત્ર મોડો થયેલો સુધારો છે કે પછી પાછળ કોઈ અલગ જ સંદેશો છુપાયેલો છે. ‘બિનહરીફ’ની બુમો પહેલાં જ! ભાજપના આંકડાઓ પર સવાલસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હજુ પ્રક્રિયામાં છે, પરંતુ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા 135થી વધુ સીટો બિનહરીફ થયાનો દાવો કરી દેવામાં આવ્યો છે. હકીકતમાં હજુ ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂરી નથી થઈ અને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી નથી. રાજકીય વર્તુળોમાં હવે ચર્ચા છે કે આ ‘પોલિટિકલ નેરેટિવ સેટિંગ’ છે કે ખરેખર આંકડા સત્તાવાર છે? વિરોધપક્ષ પણ આ મુદ્દે ટિપ્પણીઓ શરૂ કરી શકે તેવી શક્યતા છે. એક ઉમેદવારને છેલ્લી ઘડીએ ફોર્મ ભરવામાં ભૂલ થઈસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસના એક દિવસ પહેલા જ ગુજરાત ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. જેના કારણે થઈને ઉમેદવારોને ફોર્મ ભરવાની પ્રક્રિયા માટે ખૂબ જ તકલીફ પડી હતી. અમદાવાદના પશ્ચિમ વિસ્તારના એક ઉમેદવારને છેલ્લી ઘડીએ ફોર્મ ભરવામાં ભૂલ થઈ હતી કેટલાક ડોક્યુમેન્ટ પણ તરત મળ્યાં નહોતા. જેને લઈને ફોર્મ ભરાઈ નહીં અને ડમી ઉમેદવારનું ફોર્મ ફાઈનલ થઇ જાય એવી સ્થિતિ હતી. ડોક્યુમેન્ટો અધૂરા અને ફોર્મ અધૂરું હોવાના કારણે ભાજપના નેતાઓમાં દોડધામ મચી હતી. છેલ્લી ઘડીએ દોડધામ મચીકેન્દ્રીય ગૃહ મંત્રીના મત વિસ્તારમાં ઉમેદવારના ફોર્મની યોગ્ય ચકાસણી કર્યા વિના જ અને ડોક્યુમેન્ટો પુરા છે કે નહીં એની કામગીરીની જવાબદારી યોગ્ય રીતે ન નિભાવતા છેલ્લી ઘડીએ દોડધામ મચી હતી. ભાજપના અનેક ઉમેદવારોના ફોર્મ માટે કલેક્ટર ઓફિસ અને જિલ્લા પંચાયત ઓફિસ ખાતે પણ કાર્યકર્તાઓને સતત દોડવું પડ્યું હતું. ભાજપની છેલ્લી ઘડીની જાહેરાત કેટલાક ઉમેદવારો માટે ફોર્મ ભરવામાં ભૂલ પણ સાબિત થઈ શકે એવી સ્થિતિ હતી. ટિકિટને લઈ પ્રદેશ હોદ્દેદારો અને ધારાસભ્યો વચ્ચે બરાબરની જામીભાજપના ઉમેદવારો જાહેર કરવામાં પ્રદેશના નેતાઓએ આખરી સમય સુધી નામો જાહેર કર્યા નહીં. પ્રદેશના નેતાઓ, શહેર હોદ્દેદારો અને ધારાસભ્યો વચ્ચે કોને ટિકિટ આપી એને લઈને આંતરિક ખેંચતાણ થઈ હતી. પૂર્વ કોર્પોરેટરોથી લઈ અને મજબૂત દાવેદાર ગણાતા એવા નેતાઓને ટિકિટ ન મળવા પાછળનું મુખ્ય કારણ ધારાસભ્યો હોવા અંગેની ચર્ચા જાગી છે. ધારાસભ્યો પોતાના માનીતા લોકોને ઉમેદવાર બનાવવા માંગતા હતા. ધારાસભ્યો પોતાની મનમાની કરાવીને જ જંપ્યાધારાસભ્યોએ પાર્લામેન્ટરી બોર્ડમાં પોતાની ઉગ્ર રજૂઆતો કરી હતી અને તેમની મનમાની છેલ્લે સુધી કરાવી અને ધારાસભ્યો પોતાના જ માનીતા લોકોને ઉમેદવાર બનાવવામાં સફળ રહ્યા હતા. ધારાસભ્યોનો હઠાગ્રહ ચૂંટણીમાં પૂર્વ કોર્પોરેટરો અને નારાજ કાર્યકર્તાઓથી ખૂબ મોટું નુકસાન કરાવી શકે છે એવી ચર્ચા છે. શહેર ભાજપ કાર્યાલય પર પોલીસ ગોઠવવી પડીઅમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારો અંગે છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ રાખવામાં આવ્યું હતું અને બપોરે ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવાની શરૂઆત કરી હતી. ઉમેદવારો નક્કી થતાની સાથે જ ભાજપના કેટલાક વોર્ડ અને વિધાનસભામાં આંતરિક ભડકો થયો હતો. જેને લઈને કાર્યકર્તાઓમાં નારાજગી થઈ હતી સોશિયલ મીડિયામાં પણ અનેક મેસેજો ફરતા થયા હતા ત્યારે ભાજપ કાર્યાલય ઉપર બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. મોડી રાત સુધી નેતાઓ કાર્યકર્તાઓને મનાવવા જાગ્યા ઉમેદવારોની યાદી જાહેર થતા જ આ આંતરિક રોષ વધુ ફેલાયો હતો. ભાજપમાં આંતરિક રોષ ફેલાતા શહેર પ્રમુખે તેને ડામી દેવા તમામ નેતાઓને સુચના આપી દીધી હતી. જેના પગલે ભાજપના કેટલાક નેતાઓ પોતાના વિધાનસભા વિસ્તારમાં મોડી રાત સુધી ફર્યા હતા. મોડી રાત સુધી નેતાઓ કાર્યકર્તાઓને મનાવવા જાગ્યા હતા. મોડી રાત સુધીનો ઉજાગરો નેતાઓને ફળ્યો હતો અને બીજા દિવસે ખાનપુર કાર્યાલય ખાતે કોઈપણ કાર્યકર્તા વિરોધ કરવા આવ્યો નહોતો. તેમાં પણ કેટલીક જગ્યાએ નિયમો સાઈડમાં મૂકી માનીતા લોકોને સ્થાન આપી દેવામાં આવ્યું છે. જોકે કેટલાક લોકોને સાચવવા માટે પણ ઈચ્છા ન હોવા છતાં પણ નિયમો નેવે મૂકી ટિકિટ આપવી પડી છે. અમદાવાદમાં ચારથી પાંચ જેટલા વોર્ડમાં આ રીતે ટિકિટ આપી છે. જેનો ભાજપના કાર્યકર્તાઓમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે, દરેક કાર્યકર્તા સમાન હોય છે એવી વાતો માત્ર બેઠકોમાં અને જાહેરમાં કરવામાં આવે છે. પરંતુ જ્યારે ખરેખર સમય આવતો હોય છે ત્યારે વહાલા દવલાની નીતિ જ અપનાવવામાં આવતી હોય છે. જેનો કેટલાક કાર્યકર્તાઓ પરચો મળી જતા પાર્ટીમાં હવે નિષ્ક્રિય થવાની તૈયારી કરી લીધી છે. ટ્રાફિક વિભાગ અને AMC વચ્ચેના સંકલનને લઈ સવાલોઅમદાવાદના મુખ્ય જંકશનનો ઉપર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા જંકશન ડેવલોપમેન્ટ પ્રિન્સિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતો હોય છે. જેમાં દરરોજના કેટલા વાહન પસાર થાય છે અને ચાર રસ્તા છે તો ત્યાં કેટલો ટ્રાફિક હશે તેની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય છે. પરંતુ હવે તેની કામગીરીમાં ટ્રાફિક પોલીસ મેદાને ઉતરી છે. ટ્રાફિક દ્વારા મુખ્ય ચાર રસ્તા ઉપર વચ્ચે ડિવાઈડર બંધ કરી અને 100 મીટર દૂર કટ આપવામાં આવી રહ્યો છે. આ સમસ્યાને દૂર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન લાખો રૂપિયા જંકશન ડેવલોપમેન્ટ પાછળ ખર્ચ કરવા જઈ રહી છે. પરંતુ ટ્રાફિક પોલીસ મોટા જંકશનો પર ડિવાઈડર બંધ કરી રહી છે. કેટલીક જગ્યાએ જંકશન ડેવલોપમેન્ટના ખર્ચ કરી દીધા બાદ પણ આ સ્થિતિનું નિર્માણ થતાં ટ્રાફિક અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંકલન પર મોટો સવાલ ઊભો થયો છે. એક ઉચ્ચ નેતાને મળવા દેવામાં પણ નામો નક્કી કર્યા અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પસંદગીને લઈને આંતરિક ખેંચતાણ અને જાહેરાત બાદ કાર્યકર્તાઓમાં ભારે વિરોધ અને રોષ છે, ત્યારે કાર્યકર્તાઓને હજી પણ ભાજપના નેતાઓ અવગણના કરતા હોય એવી સ્થિતિ અમદાવાદમાં એક ઉચ્ચ નેતા આવવાના હતા ત્યારે જોવા મળી હતી. અમદાવાદમાં ભાજપના ઉચ્ચ નેતા મુલાકાત લેવા આવવાના હતા, ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થયા હતા પણ આ કાર્યકર્તાઓને ઉભા રહેવા દેવાની ના પાડી દીધી હતી, જેટલા લોકોના નામ બોલે એટલા લોકોને જ નેતાને મળવા માટે ઊભા રાખવા માટે કહ્યું હતું. જેને લઈને ભાજપના કાર્યકર્તાઓએ પ્રમુખ અને અન્ય નેતાઓને સંભળાવી દીધું હતું કે જો ઊભા જ રાખવાના નહોતા તો પછી અમને બોલાવ્યા કેમ છે. કાર્યકર્તાઓની જરૂર હોય ત્યારે જ બોલાવવામાં આવતા હોય છે અને જ્યારે કોઈ નેતા આવ્યા તો તેમને મળવા દેવા માટે ઊભા રાખવા દેવામાં આવતા નથી જેને લઇને કાર્યકર્તાઓ અને નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. કેટલાક નેતાઓએ વચ્ચે પડી અને સમગ્ર મામલો થાડે પાડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 7:00 am

ઠગાઇ:નિલમબાગના હોમગાર્ડની હથિયાર લાયસન્સના બહાને 4.5 લાખની ઠગાઇ

ભાવનગર શહેરમાં રહેતા એક યુવકને નિલમબાગ પોલીસ મથકમાં ફરજ બજાવતા હોમગાર્ડે બંધૂકનું લાયસન્સ અપાવવાના બહાને યુવકના ડ્રાઇવર સાથે મિત્રતા કેળવી હતી અને બાદમાં ડ્રાઇવરે અને હોમગાર્ડે બંન્નેએ એક સંપ કરી યુવક પાસેથી 4.5 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ભાવનગર શહેરમાં વિદ્યાનગર વિસ્તારમાં રહેતા ચિંતનભાઇ જયેન્દ્રભાઇ શાહ સાથે ગત મે માસમાં કેટલાક શખ્સોએ તેમની કારને સળગાવી દિધી હતી. જે મામલે નિલમબાગ પોલીસ મથકમાં આરોપીઓ વિરૂદ્ધ તેમને પોલીસ ફરિયાદ કરેલ હતી. જે બાદ નિલમબાગ પોલીસ મથકમાં ફરજ બજાવતા રાકેશ પરમાર નામના હોમગાર્ડ અવાર નવાર ચિંતનભાઇના ઘરે જતા હતા અને ચિંતનભાઇને કંઇ કામ હોય તો મને જણાવશો તેમ કહેતા હતા. જે બાદ રાકેશ પરમાર નામના હોમગાર્ડે ચિંતનભાઇને કહેલ કે, તમારી સેફ્ટી માટે તમારે હથિયાર રાખવું જોઇએ તેમ જણાવેલ હતું. જેને લઇને રાકેશ પરમારે ચિંતનભાઇના ડ્રાઇવર પાર્થ ત્રિવેદી સાથે મેળાપીપણું કર્યું હતું અને બંન્ને શખ્સોએ ચિંતનભાઇને રૂા. 4.5 લાખ રૂપિયામાં બંદૂકનું લાયસન્સ અપાવવાનું કહ્યું હતું અને ચિંતનભાઇ પાસેથી રૂા. 4.5 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે બાદ આજદિન સુધી હોમગાર્ડે બંદૂકનું લાયસન્સ ન અપાવી સાડા ચાર લાખની ઠગાઇ આચરી હોવાની જાણ થતાં ચિંતનભાઇએ નિલમબાગ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને હોમગાર્ડ રાકેશ પરમાર અને પાર્થ ત્રિવેદી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. પરંતુ પોલીસ મથકમાં અનેક ધક્કા ખાવા છતાં હોમગાર્ડ રાકેશ પરમાર વિરૂદ્ધ ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે, આ મામલે પોલીસે નિવેદન લીધા હોવાનું ચિંતનભાઇ શાહએ જણાવ્યું હતું. પોલીસમાં હોમગાર્ડ વિરૂદ્ધ અરજી આપી છેરાકેશ પરમાર અનેક વખત મારા ઘરે આવેલ હતો. હથિયારનું લાયસન્સ મેળવવામાં 12 થી 15 લાખ રૂપિયા થાય છે પરંતુ હું તમને 4 થી 5 લાખ રૂપિયામાં બંદૂકનું લાયસન્સ અપાવી દઇશ તેમ કહી મારો વિશ્વાસ કેળવી લીધો હતો. અને પ્રથમ ચાર લાખ રૂપિયા લીધા હતા અને બાદમાં પોલીસ વેરીફીકેશનના પચાસ હજાર મળી કુલ રૂા. 4.50 લાખ પડાવ્યા હતા. મેં એક સપ્તાહ અગાઉ નિલમબાગ પોલીસ મથકમાં રાકેશ પરમાર વિરૂદ્ધ અરજી આપેલ છે.આ ઘટનાને લઇને મેં ભાવનગર SPને રજુઆત કરી છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:48 am

સૌરાષ્ટ્ર સમાચાર એનાલિસિસ:હવે વિદ્યાર્થીઓનો પ્રવાહ આર્ટસ તરફ વળ્યો : ગુજરાતમાં7 વર્ષમાં ધો.12 આર્ટસના વિષયોમાં 2,44,252નો વધારો

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પૂર્ણ થઇ ગઇ છે અને હવે પરિણામ જાહેર થવાની રાહ છે ત્યારે કોલેજ કક્ષાએ પસંદગી અને કઈ ફેકલ્ટીમાં અભ્યાસ કરવો તેની વિદ્યાર્થીઓ અને તેના વાલીઓમાં મથામણ શરૂ થઈ ગઈ છે. યુવા પેઢીમાં IAS, IPS કે ઉચ્ચ સરકારી નોકરી મેળવવાનો રસ વધ્યો છે, તેથી વિદ્યાર્થીઓ આર્ટસની પસંદગી કરી રહ્યા છે. આથી જ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.12 સા.પ્ર.માં આર્ટસના વિષયોમાં 2019થી 2026ના સમયગાળા દરમિયાન આર્ટસના વિષયો સોશિયોલોજી, સાયકોલોજી, ફિલોસોફી અને જીઓગ્રાફી જેવા ચાર વિષયોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 2,44,252 નો જબ્બર વધારો ગુજરાતમાં થયો છે. આ ઉપરાંત છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાંથી જે 42 વિદ્યાર્થીઓ યુપીએસસીની દેશની સૌથી અઘરી પરીક્ષા પાસ કરી છે અને આગળ જતા આઇએએસ કે આઇપીએસ થવાના છે તેમાં 40 વિદ્યાર્થીના વિષય જાણવા મળ્યા આ 40 પૈકી 31 વિદ્યાર્થીઓએ આર્ટસ સંબંધિત વિષય રાખીને યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે. ગત વખતે જે 26 વિદ્યાર્થી ગુજરાતમાંથી યુપીએસસીની પરીક્ષામાં પાસ થયા છે તે પૈકી 2 4ના વિષય જાણવા મળ્યા છે તેમાં 18ને આર્ટસ સંબંધિત વિષય હતા જ્યારે તે પહેલાના વર્ષે ગુજરાતમાંથી જે 16 વિદ્યાર્થી યુપીએસસીમાં પાસ થયેલા તેમાં 13ને આર્ટસના વિષય હતા. આમ, 2024 અને 2025ના બે વર્ષમાં ગુજરાતમાં જે 42 વિદ્યાર્થીઓ પાસ થયા તે પૈકી 40ના વિષય જાણવા મળ્યા છે અને તે પૈકી 31 વિદ્યાર્થીઓ એટલે કે 77.5 ટકા વિદ્યાર્થીઓએ આર્ટસના વિષય રાખીને યુપીએસસી પરીક્ષા પાસ કરી છે. ગુજરાત રાજ્યમાં આર્ટસની તુલનામાં સામાન્ય પ્રવાહમાં કોમર્સમાં મુખ્ય વિષયમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે. જ્યારે આઈએએસ કે આઈપીએસ થવા માટેની યુપીએસસીની પરીક્ષામાં આ વખતે 26 તારલાઓ પાસ થયા છે જેમાં 7 ઉમેદવારને સોશિયોલોજીનો વિષય હતો.યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ભાષા અને કલા સંબંધિત નવા અને વ્યવહારુ વિષયોને કારણે પણ રસ વધ્યો છે અને તેમાંથી મળતી કારકિર્દીની ઉજ્જવળ તકોને કારણે આર્ટસ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આર્ટસ રાખવાથી ફાયદોઆર્ટસના વિષય લેનાર વિદ્યાર્થીને યુપીએસસીમાં ફાયદો રહે છે. સિવિલ સર્વિસીસના વિવિધ તબક્કાની પરીક્ષામાં આર્ટસ વિષયનો સૌથી વધુ અભ્યાસ કરવાનો હોય છે અને આર્ટસ પ્રવાહના વિદ્યાર્થીઓને તેનો લાભ મળે છે. આ વિષયોમાં ઇતિહાસ, જાહેર વહીવટ, રાજનીતિ વિજ્ઞાન, ભૂગોળ, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર જેવા વિશેષ વિષયો છે. આ ચોક્કસપણે લાભદાયક છે. કારણ કે વિદ્યાર્થીઓ શાળા-કોલેજમાં આ વિષયોનો અભ્યાસ કરી ચૂક્યા છે. > ભાવિક કામદાર, આચાર્ય, આર્ટસ વિભાગ, જ્ઞાનમંજરી કોલેજ ધો.12 આર્ટસમાં મુખ્ય 4 વિષયમાં વધારો

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:47 am

ભાસ્કર એનાલિસિસ:ભાવનગર કોર્પોરેશનની છેલ્લી ચાર ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સિવાય કોઈને જીત મળી નથી

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી આગામી તા.26 એપ્રિલના રોજ યોજાવાની છે ત્યારે 21મી સદીમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો પર દ્રષ્ટિપાત કરીએ તો ભાવનગર મ્યુ. કોર્પોરેશનમાં છેલ્લાં 26 વર્ષથી ચૂંટણી થઇ છે તેમાં ઇલેકશન જંગ માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ યોજાયો છે અને આ બે મુખ્ય પક્ષોના જ પ્રતિસ્પર્ધીનો વિજય થયો છે. છેક ઇ.સ.2000ના વર્ષમાં યોજાયેલી ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં સીપીએમ અને જનતાદળ(યુ)ના ઉમેદવારોનો વિજય થયો હતો ત્યાર બાદ 2005, 2010, 2015 અને 2021 એમ ચાર ચુંટણી યોજાઇ ગઇ તેમાં ભાજપ અને કોંગ્રેસ સિવાયના એક પણ પક્ષ કે અપક્ષ ઉમેદવાર કોર્પોરેશનની ચૂંટણીમાં વિજયી થયા નથી. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે તા.26 એપ્રિલને રવિવારે મતદાન છે. તેમાં છેલ્લાં 31 વર્ષ દરમિયાન 5 ચૂંટણી થઇ છે તેમાં ઇ.સ.1995ની ચૂંટણીમાં સીપીએમ અને 2000ના વર્ષમાં યોજાયેલી ચૂંટણીમાં સીપીએમ અને જનતા દળ(યુ)ના ઉમેદવાર જીત્યા બાદ 2005,2010 અને 2015માં ચૂંટણી માત્ર બે પાંખીયો જંગ જ બની રહી હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસના જ ઉમેદવારો જીત્યા હતા. વધુ એક નોંધપાત્ર બાબત એ છે કે ઇ.સ.1995થી આજ સુધીના 31 વર્ષ દરમિયાન 6 ચૂંટણી યોજાઇ ગઇ તેમાં એક પણ અપક્ષ ઉમેદવાર ચૂંટણીમાં જીત્યો નથી. 1995થી લઇને આજ સુધીમાં ચૂંટણીમાં સૌથી વધુ બેઠક ઇ.સ.1995ની અને છેલ્લે 2021માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 44 બેઠક મળી હતી. જે રેકર્ડ છે. જ્યારે કોંગ્રેસને સૌથી વધુ 18 બેઠક ઇ.સ.2000 અને 2015ની ચૂંટણીમાં મળી હતી. છેલ્લી 5 ચૂંટણીના લેખાજોખા

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:42 am

ટેક્નોલોજી ક્રાંતિ:હોટલક્ષેત્રે વિકટ પ્રશ્નો ઉકેલવા ભાવેણાની યુવતીએ સ્કોટલેન્ડમાં વિકસાવ્યો સોફ્ટવેર

વર્તમાન ટેક્નોક્રેટની દુનિયામાં ભાવેણાની જેતલ ઝાલા નામની યુવતીએ વધુ એક ક્રાંતિ લાવી છે. નાની નાની રેસ્ટોરન્ટ, કેફેથી લઈ મોટી હોટલમાં કાર્બન ઉત્સર્જન ટ્રેક કરવા, યુટિલિટી ખર્ચ મોનીટર કરવા અને વેસ્ટ મેનેજમેન્ટ સંબંધિત વધુ સારા નિર્ણયો લેવા SaaS નામનો સોફ્ટવેર વિકસાવ્યો છે. ભાવનગરની જેતલ દેવલભાઈ ઝાલા ઈકોબેલન્સની સ્થાપક તરીકે યુકેમાં નાના બિઝનેસ માટે સસ્ટેનેબલ ટેક્નોલોજીની ઉદયમાન આગેવાન તરીકે ઓળખાઈ રહી છે. સ્કોટલેન્ડમાં પોતાની બે ભારતીય રેસ્ટોરન્ટ્સ ચલાવવાના પ્રાયોગિક અનુભવના આધારે તેમણે ઈકોબેલન્સ નામનું SaaS પ્લેટફોર્મ વિકસાવ્યું. આ સોફ્ટવેર માત્ર એક કલ્પનાત્મક ક્લાઇમેટ-ટ્રેક પ્રોડક્ટ તરીકે નહીં, પરંતુ સ્વતંત્ર હૉસ્પિટાલિટી બિઝનેસ સામે ઊભા થતા વાસ્તવિક ઓપરેશનલ પડકારોના ઉકેલ તરીકે બનાવવામાં આવ્યો છે. યુકેમાં અન્ય ભારતીય રેસ્ટોરન્ટ્સ દ્વારા પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના કારણે યુટિલિટી બિલમાં 15% બચત તથા માસિક વેસ્ટ ખર્ચમાં 25% જેટલો ઘટાડો શક્ય બન્યો છે. સ્કોટલેન્ડમાં સ્થાયી થયેલી ભાવનગરની જેતલ ઝાલા પર્યાવરણશાસ્ત્રમાં ડબલ માસ્ટરની ડિગ્રી ધરાવે છે. હાલમાં તેઓ સ્કોટલેન્ડના બે શહેરો એડીનબર્ગ અને ગ્લાસગોમાં રેસ્ટોરન્ટ વ્યવસાયમાં છે. જેતલ ઝાલા દ્વારા વિકસાવવામાં આવેલ SaaS સોફ્ટવેર રોજિંદા ધંધાકીય રેકોર્ડ્સ જેવા કે વીજળી, ગેસ, પાણી અને ફૂડ વેસ્ટ બિલના ડેટાનું એકત્રિકરણ કરે છે. તેમજ તમામને વ્યવસ્થિત ગોઠવીને સ્પષ્ટ રિપોર્ટ પણ તૈયાર કરે છે. સોફ્ટવેરની મદદથી આ વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકો બિનકાર્યક્ષમ ક્ષેત્રોને ઓળખી બિનજરૂરી ખર્ચ ઘટાડી શકે અને નફો પણ વધારી શકે. આ સોફ્ટવેર રેસ્ટોરન્ટ તથા કેફે માલિકોને કાર્બન ઉત્સર્જનની અસર ઘટાડવા વ્યવહારો સૂચનો પણ આપે છે. જેથી તેની સામાજિક અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવી શકે. SaaS સોફ્ટવેર માત્ર કાગળ પરનો નહીં પરંતુ વાસ્તવિક રેસ્ટોરન્ટના સંચાલનમાં ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. વડાપ્રધાનની પર્યાવરણ બચાવવા પ્રત્યેની જાગૃતતાએ ભાવેણાની જેતલ ઝાલાને આ પ્રકારના સોફ્ટવેર બનાવવાની પ્રેરણા આપી હતી. યુકેના હોસ્પિટાલીટી ક્ષેત્રે પ્રેરણાદાયી પહેલઈકોબેલન્સ દ્વારા જેતલ ઝાલાએ આ બનાવેલી ટેક્નોલોજી માત્ર મોટી કંપનીઓ માટે જ નહીં, પરંતુ નાના વ્યવસાયોને વધુ કાર્યક્ષમ અને પર્યાવરણપ્રતિ જવાબદાર બનાવવા માટે શક્તિશાળી સાધન બની શકે છે. ઉદ્યોગ સાહસિકતા, ટેક્નોલોજી અને સ્થિરતાને જોડતી તેમની આ પહેલ યુકેના નાના હૉસ્પિટાલિટી ક્ષેત્ર માટે એક પ્રેરણાદાયી મોડેલ છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:40 am

મંડે પોઝિટીવ:પગરખા વગર શાળાએ આવતા બાળકોને ચપ્પલ આપવાનું સેવા કાર્ય

ભાવનગરમાં ઉનાળામાં ચપ્પલ વગરના બાળકો અને વડીલોને ચપ્પલ આપવાનું નેક કાર્ય થઇ રહ્યું છે. ભાવનગરના સામાજિક સેવક પ્રમોદ વોરા દ્વારા વર્ષોથી સાયકલ ભેટ યોજના ચલાવવામાં આવે છે. અત્યાર સુધીમાં 4200 જેટલી સાયકલ જરૂરિયાતમંદ વિધાર્થીઓને આપવામાં આવી છે. આ ઉનાળામાં પ્રમોદ વોરા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરના શિક્ષક મહેશભાઈ મોરી સાથે મળીને ચપ્પલ વગરના બાળકો અને વડીલોને ચપ્પલની વ્યવસ્થા કરી આપવાનું ભગીરથ કાર્ય હાથ પર લેવામાં આવ્યું છે. મહેશભાઈ મોરી અને શિક્ષકોની ટીમ દ્વારા દાતા દ્વારા આપવામાં આવેલ ચપ્પલની છ (6) જોડની કીટ બનાવવામાં આવી છે અને આ ચપ્પલની કીટ શિક્ષકોને આપવામાં આવી છે. શિક્ષકો આ કીટ પોતાની ગાડીમાં રાખે છે અને શાળામાં, શાળા વિસ્તારમાં અન્ય કોઈપણ રસ્તામાં ચપ્પલ વગરના બાળકો અને વડીલોને ચપ્પલ આપવાનું નેક કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ નેક કાર્યમાં આર્થિક સહકાર આપવા માટે 9033771567,9879025944 પર સંપર્ક કરવો.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:39 am

ઉમેદવારો જાહેર થતાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ બહાર આવ્યો:ટિકિટ કપાતા વિરોધ પક્ષના પૂર્વ નેતાની રાહુલ ગાંધીને આત્મવિલોપનની ચીમકીનો ચકચારી ઓડિયો વાયરલ

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરતા જ આંતરિક વિખવાદ ચરમસીમા પર બહાર આવ્યો છે. પૂર્વ વિરોધ પક્ષના નેતાની ટિકિટ કપાતા તેમની સાથે નિરીક્ષક અને પૂર્વ નેતા સાથે થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટપણે કોંગ્રેસના નિરીક્ષકે જ કોરા મેન્ડેડ આપ્યાનું સ્વીકાર્યું હતું. જે મુદ્દે પૂર્વ નેતા જીતુભાઈ સોલંકીએ રાહુલ ગાંધી સમક્ષ આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી હતી. ભાવનગર કોર્પોરેશનની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષોમાં વિવાદો વધી રહ્યા છે. વિવાદો ન થાય તે માટે જ ભાજપ કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ સુધી ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા ન હતા. પરંતુ ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોને લઇ વિવાદ પ્રદેશ કક્ષા સુધી પહોંચ્યો છે. ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાં વર્ષોથી કોંગ્રેસની પેનલ વિજેતા બને છે. જે વોર્ડમાં નગરસેવક તરીકે છેલ્લી ટર્મના વિરોધ પક્ષના નેતા દલિત આગેવાન જીતુભાઈ સોલંકી અને તે પૂર્વેના વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુધેલીયા છે. પરંતુ છેલ્લા થોડા સમયથી બંને વચ્ચે મતભેદ ઉભા થયા હોય તેવું વાતાવરણ સર્જાયું છે. કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી સમયે પણ વિરોધ પક્ષના નેતા તરીકે જીતુભાઈ સોલંકીનો અભિપ્રાય લેવામાં આવતો હતો. પરંતુ તેના વોર્ડમાંથી કોંગ્રેસની ઉમેદવારોની પ્રથમ યાદીમાં તેમનું નામ જ કમી થઈ ગયું હતું. અન્ય ત્રણ ઉમેદવારો જાહેર કરાયા હતા. જેથી ગિન્નાયેલા જીતુભાઈ સોલંકીએ ભરતભાઈ બુધેલીયા તેમજ પ્રદેશ નિરીક્ષક હરિભાઈ ભરવાડ સાથે થયેલી વાતચીત અને આક્રમક વલણનો ઓડિયો વાયરલ થયો છે. જે ઓડિયોમાં કોંગ્રેસની ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અને પ્રદેશ નિરીક્ષક દ્વારા લેવાતા સેન્સ માત્ર ઔપચારિક હોવાનું સાબિત થયું હતું. ઓડિયોમાં પણ પ્રદેશ નિરીક્ષક હરિભાઈ ભરવાડ દ્વારા સ્થાનિક આગેવાનોને કોરા મેન્ડેડ આપી દેવતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જે પક્ષ માટે અયોગ્ય હોવાનું કાર્યકર્તાઓમાં ચર્ચાઈ રહ્યું છે. તદુપરાંત ટિકિટ કપાતા અને વિરોધ પક્ષના નેતા તરીકે પોતાની અવગણના થતા રાહુલ ગાંધી અમદાવાદ કે ભાવનગર આવશે ત્યારે તેની સામે આત્મવિલોપન કરવાની તેમજ પ્રદેશ કક્ષા સુધી ફરિયાદ કરવાની પણ હરિભાઈ ભરવાડને ઓડિયોમાં જીતુભાઈ સોલંકીએ ચીમકી આપી હોવાનું વાયરલ થતાં રાજકીય હડકંપ મચી ગઈ છે. ઓડિયોમાં શું હતી વિવાદાસ્પદ વાતચીત

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:38 am

ખગોળ વિશેષ:30 એપ્રિલ સુધી લાયરીડ્સ ઉલ્કાવર્ષાનો નભમાં નજારો

ખગોળરસિયાઓએ ઉલ્કા વર્ષા વર્ષ દરમિયાન 10થી 12 વખત અને મહત્તમ 15 વખત આકાશમાં જોવા મળે છે. ઉલ્કા પડતી હોય ત્યારે સેકન્ડના 30 કિલોમિટરના વેગનો અનુમાન રખાય છે. વાતાવરણમાં રહેલા વાયુઓ સાથે ઉલ્કાઓના ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઊઠે છે અને તેજ લિસોટા, અગ્નિસ્વરૂપે આકાશમાં જોવા મળે છે. ગત જાન્યુઆરીમાં ક્વોડરેન્ટિડ્સ ઉલ્કાવર્ષા સ્પષ્ટ નજરે નિહાળ્યા બાદ હવે 100 દિવસના વિરામ બાદ ફરીને ઉલ્કાવર્ષાનો પ્રારંભ થશે તેમાં વિશ્વમાં 14મી એપ્રિલ મધરાતથી 30મી એપ્રિલ સોમવાર પરોઢ સુધી લાયરીડ્સ ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે. લાંબા વિરામ બાદ હવે તા.14મીને મંગળવાર મધરાતથી 30મી સુધી આકાશમાં લાયરીડ્સ ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. 22મી અને 23મીએ આકાશમાં રીતસર ઉલ્કાવર્ષાનો વરસાદ જોવા મળશે. ઉલ્કા વર્ષા નિહાળવા માટે મધ્યરાત્રિ બાદ વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ ગણાય છે. ભારતમાં રણપ્રદેશ, દરિયાઈ પટ્ટીમાં ખગોળપ્રેમીઓ ઉલ્કા વર્ષા નિહાળી રોમાંચિત થાય છે. ઉલ્કા જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટિયોર ઉલ્કા તરીકે ઓળખાય છે. મોડી રાત બાદ ખુલ્લા વિસ્તારોમાં સ્વચ્છ આકાશ હશે ત્યાં કલાકના 10થી 100 ઉલ્કા ખરતી જોવા મળશે. આકાશમાં શા માટે તેજ લિસોટા જોવા મળે છે ?આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું હોય છે. તેમાંથી વિસર્જિત પદાર્થો શેરડો છોડતા જાય છે જ્યારે પૃથ્વી આ વિસર્જિત પદાર્થો વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગને કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે આ સમયે તેનો વેગ સેકન્ડના 30 કિ.મી.નો હોય છે. વાતાવરણમાં પ્રવેશતા વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને આકાશમાં તેજ લીસોટા સ્વરૂપે જોવા મળે છે તેને ફાયર બોલ, અગનગોળા કે ઉલ્કા વર્ષા કહેવાય છે. રોજ 40 ટન ઉલ્કાઓ પૃથ્વીમાં પ્રવેશે છેપૃથ્વી પર દરરોજ 40 ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. સૂર્ય પ્રકાશમાં પડતી ઉલ્કાઓ જોઈ શકાતી નથી. ઉલ્કા વર્ષાને નિહાળવા માટે ખુલ્લી જગ્યા, મેદાન, પવર્તીય વિસ્તાર શ્રેષ્ઠ છે. 10*50નું મેગ્નીફિકેશન ધરાવતું દૂરબીન પણ ગોઠવી શકાય છે. અત્યાર સુધીમાં પૃથ્વી પર વરસેલી ઉલ્કાની રાખનો થર એક ઇંચથી વધુનો અંદાજ છે. ઉલ્કામાં લોખંડ અને નિકલ હોય છે આથી તેની ઓળખ માટે લોહચુંબકનું પરિક્ષણ જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:34 am

ભાજપમાં ટિકિટનો વિવાદ શરૂ:તરસાલીમાં પૂર્વ કાઉન્સિલર કામિનીબેને 2ને વોટ આપજો કહેતાં કાર્યકરો ભડક્યાં

ભાજપ દ્વારા શહેરમાં ટિકિટની વહેંચણી બાદ જૂના કાર્યકરોમાં નારાજગી પ્રવર્તી છે, જે સોશિયલ મીડિયા થકી બહાર આવી રહી છે. તરસાલીમાં ફેરણી દરમિયાન પૂર્વ મહિલા કાઉન્સિલરે 2 જ ઉમેદવારોને ટિકિટ આપવાનું કહેતાં કાર્યકરોએ પકડી પાડ્યાં હતાં, જેને કારણે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બીજી તરફ ફેરણી ટૂંકાવવી પડી હતી. શહેરના વોર્ડ 19માં ભાજપે ગત બોર્ડનાં કાઉન્સિલર પુનિતાબેન વ્યાસને રિપીટ કર્યાં હતાં. રવિવારે તેઓએ કાર્યકર્તાઓ સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. સાંજે તેઓ તરસાલીના મોતીનગરમાં ફેરણીમાં હતાં. પૂર્વ કાઉન્સિલર કામિનીબેન સોની પણ ચૂંટણી પ્રચારમાં જોડાયાં હતાં. આધારભૂત સૂત્રો મુજબ આ સમયે કામિનીબેન સોનીએ સ્થાનિક લોકોને 2 ઉમેદવારોને જ વોટ આપવાનું કહેતાં ત્યાં હાજર અન્ય કાર્યકર્તાઓ તે સાંભળી ગયા હતા અને તેઓએ હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ ભાજપના કાર્યકરોમાં માથાકૂટ વધતાં ઉમેદવાર પુનિતાબેન વ્યાસની તબિયત લથડી હતી. તેઓને ઘરે લઈ જવાતાં ફેરણી ટૂંકાવવી પડી હતી. કાર્યકરોએ આ અંગેની ફરિયાદ ધારાસભ્યને કરતાં તેઓએ શહેર પ્રમુખનું ધ્યાન દોર્યું હોવાનું જાણવા મળ્યું છે. કાર્યકરોએ ફરિયાદ કરતાં કહ્યું છે કે, કામિનીબેન સોની વોર્ડ 19માં ચૂંટણી માટે ન આવે. આવું કંઈ બન્યું જ નથી, હું આવું બોલું તે શક્ય જ નથીહું 35 વર્ષથી ભાજપમાં છું. વોર્ડ નંબર 19માં ફેરણી દરમિયાન આ પ્રકારની કોઈ ઘટના બની જ નથી. તેથી વધુ હું આવું કંઈક બોલું તે શક્ય જ નથી. > કામિનીબેન સોની, પૂર્વ કાઉન્સિલર, ભાજપ

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:33 am

30 વર્ષિય યુવકનો મળી આવ્યો મૃતદેહ:ઘરમાંથી 3 દિવસથી ગંધ મારતી હતી દરવાજો તોડતાં યુવકનો મૃતદેહ મળ્યો

ગોત્રી વિસ્તારમાં આવેલા એક ઘરમાંથી 30 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. પાડોશીઓને યુવકના ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાને કારણે તેઓએ શનિવારે સાંજે પોલીસને જાણ કરતા પોલીસ અને લાશ્કરો દોડી આવ્યા હતા. તેમણે દરવાજો તોડીને યુવકના મૃતદેહને પોલીસને સોંપ્યો હતો. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે, યુવકનું મોત હૃદય રોગના હુમલાને કારણે થયું છે. ગોત્રીમાં આવેલી ઓમ સોસાયટીમાં રહેતો 30 વર્ષીય સુરજ સુધાકરણ નાયર નંદેસરી જીઆઈડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ગુરુવારથી સુરજ ન દેખાતા અને શનિવાર સાંજેથી તેના ઘરમાંથી તીવ્ર દુર્ગંધ આવતા પાડોશીએ પોલીસને જાણ કરી હતી. ગોત્રી પોલીસ સુરજના ઘરે દોડી આવી હતી. તેના ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાને કારણે લાશ્કરોએ દરવાજો તોડતા પોલીસને સુરજનો મૃતદેહ તેના પલંગ પરથી મળી આવ્યો હતો. જેથી પોલીસે મૃતદેહનો કબ્જો લઈને ગોત્રી જીએમઈઆરએસ હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. સુધાકરના માસીના દીકરા અતુલ કુરૂપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અહીંના સ્થાનિક દુકાનદારોએ મને જાણ કરી હતી કે સુરજના ઘરમાંથી છેલ્લા ત્રણ દિવસથી અસહ્ય વાસ આવી રહી છે. સોસાયટીના લોકોએ દરવાજો ખખડાવ્યો હતો પરંતુ અંદરથી કોઈ જ જવાબ મળ્યો નહોતો, એટલે પાડોશીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને અમને પણ બોલાવ્યા હતાં.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:33 am

ઠગાઈ:પેન્શન માટે હયાતીના દાખલાનું કહીને નિવૃત્ત બેંક મેનેજરના 10 લાખ ઠગ્યા

શહેરમાં સાયબર ગુનેગારોએ ઠગાઇની વધુ એક નવી પદ્ધતિ અપનાવી નિવૃત્ત બેંક મેનેજરને નિશાન બનાવી તેમના ખાતામાંથી 10 લાખની રકમ પડાવી લીધી છે. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ભેજાબાજોની શોધખોળ હાથ ધરી છે. હાલમાં પેન્શન ધારકોને લાઇફ સર્ટિફિકેટ (હયાતીનો દાખલો) જમા કરાવવા માટે સરકારે જણાવ્યું છે. જેમાં હવે ઓનલાઇન પ્રમાણ પત્ર જમા કરાવવાની સુવિધા પણ આપવામાં આવી છે. પરિણામે સૂસેન તરસાલી રોડ ઉપર રહેતા 65 વર્ષીય પરેશ નરહરિપ્રસાદ પંડ્યા જેઓ બેંક ઓફ બરોડાના નિવૃત્ત સિનિયર મેનેજર છે તેમણે પેન્શન મેળવવા માટે દર વર્ષની જેમ ઓનલાઇન લાઇફ સર્ટિફિકેટ અપલોડ કરી દીધું હતું. એના થોડા સમય બાદ તેમને મોબાઈલ પર કોલ આવ્યો હતો. અને જણાવ્યું હતું કે વેરિફિકેશન માટે બીજો કોલ આવશે તેમાં પ્રક્રિયા પૂર્ણ થશે એ બહાને વોટ્સએપ પર વીડિયો કોલ આવશે એમ જણાવ્યું હતું. બાદમાં અન્ય નંબર ઉપરથી વીડિયો કોલ કરી ફરિયાદીને તેમની મોબાઈલ સ્ક્રીન શેર કરવા લલચાવ્યા હતા. આ દરમિયાન, BOB Life Certificate Update.apk નામની એક જોખમી ફાઈલ ડાઉનલોડ કરાવી હતી. સ્ક્રીન શેરિંગ ચાલુ હોવાથી આરોપીઓએ ફરિયાદીના બેંક વ્યવહાર ઉપર નિયંત્રણ મેળવી લીધુ હતું. વિડિઓ કોલ ચાલુ હતો એ દરમ્યાન ફરિયાદીને છેતરીને તેમના બે અલગ-અલગ ખાતાઓમાંથી 5 લાખ લેખે કુલ 10 લાખ ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતાં જ સાયબર ક્રાઈમ પોલીસે મથકે પરેશ ભાઈ પહોંચી ગયા હતા અને ફરિયાદ નોંધાવી દીધી હતી. જેને પગલે પોલીસે આ મામલે ગુનો નોંધી બેંક ખાતાની વિગતોના આધારે ભેજાબાજોની તપાસ હાથ ધરી છે. જોખમીAPK ફાઈલ શું છે?

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:31 am

કેમિકલ કૌભાંડ:નંદેસરી જીઆઇડીસીમાં બે ટેન્કરમાંથી અત્યંત ઝેરી કેમિકલ વરસાદી કાંસ,મિનિ નદીમાં ઠલવાતું પકડાયું

શનિવારે મોડી રાત્રે 3 વાગ્યે નંદેસરી જીઆઇડીસીની ગુજરાત ચોકડી નજીકથી વાડિયા વગામાંથી ઝેરી કેમિકલ વેસ્ટ ભરેલા 2 ટેન્કર પકડયા હતા. એક ઝૂપડા પાસેથી પકડાયેલા બે ટેન્કરો પૈકીના એકની પાઇપ બીજી પાઇપમાં ભેરવાયેલી હતી અને પાઇપનો બીજો છેડો વરસાદી ચેનલમાં હતો. નંદેસરી પોલીસે આ સંદર્ભે ટેન્કરના ચાલક અને ઝુપડામાંથી પાઇપ વરસાદી ચેનલ સુધી લંબાવનારની અટકાયત કરી છે. તપાસનો રેલો સોજિત્રાની જીઆઇડીસીની ઇન્ફિનિટી ફાર્મા કંપની સુધી લંબાયો છે. તપાસમાં આ કેમિકલ હેઝાર્ડસ વેસ્ટની કેટેગરીમાં હોવાનું ખુલ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી વરસાદી ચેનલ અને ત્યાંથી મીની નદીમાં ઝેરી કેમિકલ છોડવાનું કૌભાંડ ચાલે છે તેવી બાતમી પોલીસ-જીપીસીબીને હતી. શનિવારે રાત્રે બે કલાક સુધી પોલીસે રીતસરની વોચ રાખી હતી. દરમિયાન એક ટેન્કર દેખાતા તેની સઘન તપાસ કરાઇ હતી. ત્યારે ગુજરાત ડાયસ્ટફ ચોકડી પાસેના એક ઝુપડામાં પાર્ક કરેલી બે ટેન્કરોની તપાસ કરી હતી. જેમાં એક ટેન્કરની પાઇપ બીજી પીવીસી પાઇપમાં ભેરવાયેલી હતી. પોલીસે આ નેટવર્ક પકડાતા જ વડોદરા જીપીસીબીના પ્રાદેશિક ડાયરેક્ટરને જાણ કરી હતી. જેના પગલે તેઓ પણ ઘટના સ્થળે ધસી ગયા હતા. પકડાયેલું કેમિકલ અને ફાર્મા કંપનીમાંથી મળેલું કેમિકલ સરખાં નીકળ્યાંઘટનાને પગલે જીપીસીબીના પ્રાદેશિક ડાયરેક્ટર માર્ગીબેન પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જીપીસીબીએ કેમિકલનની તપાસ કરી હતી. ટેન્કર ચાલકે સૂચવેલી કંપનીમાં તપાસ અલાયદી ટીમે કરી હતી. કંપનીમાં પણ એવું જ હેઝાર્ડ઼સ કેમિકલ મળ્યું હતું. જીપીસીબીએ ફાર્મા કંપનીને લેખિત જાણ કરી હતી. તપાસમાં ફાર્મા કંપની ઇન્ફિનિટીના માલિકોને પણ બોલાવવામાં આવશે. ડોમેસ્ટિક પાણીના વપરાશનું કૌભાંડીનું રટણઝૂપડાની પાઇપનો બહાર માત્ર 3 ફૂટનો જ હિસ્સો હતો. જ્યારે પોલીસને તપાસ કરી તો પાઇપનો બીજો છેડો છેક 40 મીટર દૂર એક વરસાદી ચેનલમાં હતો. પોલીસે ઝૂપડામાં મળેલા શખ્સની પૂછપરછ કરતા તેણે ડોમેસ્ટિક ઉપયોગ માટે પાણીના નિકાલ માટે પાઇપ મૂકી હોવાનું રટણ કર્યું હતું. જ્યારે ટેન્કરના એક ચાલકે આ ટેન્કર સોજિત્રાની એક ફાર્મા કંપનીમાંથી લાવ્યો હોવાની પોલીસ સમક્ષ કેફિયત કરી હતી. પોલીસે બંને હાલ પૂરતી અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. ભાસ્કર ઇનસાઇડજેસીબી લાવી 40 મીટર દબાવેલી પાઇપ કઢાઇકૌભાંડીઓએ પાઇપ ઝુપડામાંથી વરસાદી ગટરમાં 40 મીટર સુધી જમીનમાં દબાવીને લંબાવી હતી. જીપીસીબીના અધિકારીએ જેસીબી મંગાવ્યું હતુ અને તેને વરસાદી ચેનલ સુધી ખોદી હતી. વડોદરા જીપીસીબીનો સ્ટાફ ટેટ પરીક્ષામાં હોવાથી આ ઘટનામાં કર્મચારીઓને આણંદ અને ગોધરાથી બોલાવવામાં આવ્યાં હતા.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:31 am

પ્રજાનો અવાજ:તરસાલી-ઘાઘરેટિયામાં બિસ્માર રસ્તા, ગંદા પાણી, સર્કલની સમસ્યાના ઉકેલની ‘તરસ’

એક જમાનામાં શહેરના છેવાડાના વિસ્તારના તરસાલી-ઘાઘરેટિયા ઘણા સમયથી શહેરનો હિસ્સો છે. પણ સરવાળે અહીં કેટલાક પાકા રસ્તાઓ સિવાય અન્ય લોકસુવિધાઓ આપવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. બે રાજકીય પક્ષોના 4 નેતાઓ વચ્ચે વહેંચાયેલા આ વિસ્તારોના લોકોને હવે વિકાસની સાથે ખખડધજ રસ્તા, ગંદા પાણી અને શાકબજારને સમાવીને બેસેલા સર્કલની સમસ્યાના ઉકેલની તરસ છે. દિવ્ય ભાસ્કરને સ્થાનિકોએ જણાવ્યું કે, અહીં નેતાઓ ફરકતા નથી અને જો આવી જાય તો વચન આપીને ભૂલી જાય છે. વિજયનગરના મુખ્ય રસ્તાઓ લોકોને રૂ. 50 લાખની ગ્રાન્ટ મંજૂરીની લોલિપોપ બાદ હજીય વિકાસની વાટ જુએ છે. ઘાઘરેટિયામાં રસ્તા, વીજળી અને તળાવની સમસ્યાઓ ઊભી છે. લોકોની અનેક રજૂઆતો છતાં વિસ્તારોની સમસ્યાઓ ધ્યાને લેવાતી નથી. ક્યાંક પાણીનો કકળાટ અને રસ્તાની સમસ્યા, તો ક્યાંક ટ્રાફિક-પાર્કિંગ માથાનો દુઃખાવો તરસાલીવાસીઓને જન્મમરણની નોંધ માટે વોર્ડ-19માં જવું પડે છે, ઓફિસ ન હોવાથી લોકોને હાલાકીતરસાલી વોર્ડ નં. 16માં છે પણ જન્મમરણની નોંધણીની આ વોર્ડમાં ઓફિસ નથી. જેથી તરસાલીવાસીઓને આ નોંધણી માટે વોર્ડ નં. 19ની ઓફિસમાં હાઇવે ક્રોસ કરીને જવું પડે છે. આ વિશે સ્થાનિક સામાજિક કાર્યકર ધર્મેશ પટેલે કહ્યું કે, આ સમસ્યાને લીધે સ્થાનિકોને લાંબે જવું પડે છે અને બિનજરૂરી નાણા અને સમયનો વેડફાટ થાય છે. ગટર ઊભરાય છે, ખુલ્લા પ્લોટો પર અસામાજિકોનો અડ્ડો, લોકોની રજૂઆતો છતાં સમસ્યાઓ ધ્યાને લેવાતી નથી

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:26 am

સફળ સર્જરી:SSGમાં યુવતીના કપાળની ચામડી-માંસપેશીથી નાકની પ્લાસ્ટિક સર્જરી

મધ્ય પ્રદેશના ચમાર બેગડા ગામમાં યુવક એક યુવતીનું નાક કાપી ફરાર થઈ ગયો હતો. જેને પગલે યુવતીને સયાજી હૉસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી, જ્યાં યુવતીના નાકની સર્જરી કરાઈ હતી. હૉસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં યુવતીના કપાળમાંથી ચામડી અને માંસપેશી લઈને નાકની પુનઃરચના કરવામાં આવી હતી. હાલમાં યુવતી તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહી છે. સયાજી હૉસ્પિટલમાં શુક્રવારે સવારે મધ્યપ્રદેશનો પરિવાર યુવતીના કપાયેલા નાકની સાથે તેની સારવાર માટે આવ્યો હતો. પરિવારજનો પાસે યુવતીનું કપાયેલું નાક પણ હતું. યુવતીને તાત્કાલિક હૉસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબોએ યુવતીની ઇન્ડિયન ફોરહેડ ફ્લેપ સર્જરી કરવાનું નક્કી કર્યું હતું. શનિવારે સવારે યુવતીની સર્જરી કરાઈ હતી. યુવતીને 1 અઠવાડિયા બાદ હૉસ્પિટલમાંથી રજા અપાશે. 2 અઠવાડિયા બાદ નાકના ટાંકા તોડવામાં આવશે અને 3 અઠવાડિયા બાદ નાકની ફિનિશિંગ સર્જરી કરી નાકને યોગ્ય શેપ આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:23 am

ભાજપમાં ભડકો:લાખાવાલાના નિવેદનને વિધાનસભાના દંડકે ફગાવ્યું કહ્યું,પાર્ટીએ તેમને નિવેદનની જવાબદારી નથી આપી

પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલાએ 5 વર્ષમાં શહેરની ઈમેજ વધુ ખરાબ થઈ છે, તેવું નિવેદન આપતાં ભાજપમાં ભડકો થયો છે. વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લે આ તેમનું અંગત નિવેદન ગણાવ્યું હતું. પાર્ટીએ તેમને આ પ્રકારનું નિવેદન કરવા માટે કોઈ પણ જવાબદારી નથી આપી, તેમ કહી તેમણે ભૂપેન્દ્ર લાખાવાલાના નિવેદનને ફગાવ્યું હતું. શહેર ભાજપમાં ચાલતી રાજકીય ખેંચતાણ, જૂથબંધીના કારણે શહેરનો વિકાસ ઘટ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. તેવામાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ભૂપેન્દ્ર લાખાવાલાએ ભૂતકાળમાં શહેરની દશા માટે ભાજપના નેતાઓને અરીસો બતાવતાં ભડકો થયો છે. તેઓએ કહ્યું હતું કે, છેલ્લાં 5 વર્ષમાં શહેરની ઈમેજ બહુ વધારે ડેમેજ થઈ છે. આ વખતે પાર્ટીએ ડેમેજ કંટ્રોલ કરવા ઉમેદવારો ઉતાર્યા છે. પૂર્વ મંત્રીની નિખાલસ કબૂલાતને પગલે શહેર ભાજપ સંગઠનના પૂર્વ હોદ્દેદારો અને પાલિકાના પદાધિકારીઓ સામે આંગળીઓ ચિંધાઈ છે. જેને પગલે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લે ભૂપેન્દ્ર લાખાવાલાના નિવેદનને અંગત નિવેદન ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, પાર્ટીએ તેમને આ પ્રકારના નિવેદન આપવા માટેની કોઈ જવાબદારી સોંપી નથી. તેઓએ મર્યાદામાં રહીને આવી વાત બોલવી જોઈતી હતી. તેમના બોલવાથી કોઈ કાર્યકર્તાઓને કોઈ અસર નહીં થાય. તેમણે કોઈ પાર્ટી વિરુદ્ધ કામગીરી નથી કરી, આ તેમનો વ્યક્તિગત વિષય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપની ટિકિટ જાહેર થતાં જ વોર્ડ 14નાં વાડી વિસ્તારમાંથી મરાઠી મહિલાઓને ટિકિટ નહીં મળી હોવાની ફરિયાદ સાથે કાર્યાલય ખાતે કાર્યકરો દ્વારા બળાપો ઠાલવવામાં આવ્યો હતો. આ ઉપરાંત વોર્ડ 1, 3, 16, 18 તેમજ 19માં પણ ભારે નારાજગી જોવા મળી હતી. વોર્ડ નંબર 14માં પાટડિયાની ટિકિટ કપાતાં, અંકિતા સોનીને ટિકિટથી કાર્યકરોમાં નારાજગીવોર્ડ નંબર 14માં કાઉન્સિલર સચિન પાટડિયાની ટિકિટ કપાતાં ગૌરક્ષા સેવા સમિતિના કાર્યકરો પાર્ટીથી ભારે નારાજ છે. બીજી તરફ વોર્ડમાં અંકિતા સોનીને ટિકિટ આપવામાં આવતાં તેમની ઉમેદવારી સામે પણ વિરોધનો વંટોળ સર્જાયો થયો છે. જોકે પાર્ટીની શિસ્તના નામે કાર્યકરો જાહેરમાં બહાર આવી રહ્યા નથી.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:22 am

સિટી એન્કર:સિંગલ પેરેન્ટ મહિલાએ માતૃવિહોણી 108 બાળકીને દત્તક લીધી કોઇ ગિફ્ટ આપવા આવે તો કહે છે, 108 હોય તો જ આપજો

‘સેવા પરમો ધર્મ’ના સૂત્રને સાર્થક કરતાં મહિલા અને તેમની ટીમ માતૃવિહોણી તેમજ સિંગલ પેરેન્ટ ધરાવતી દીકરીઓ માટે આશાનું કિરણ બની છે. કપુરાઈ ચાર રસ્તા પાસે રહેતાં સાવિત્રીબેન તિવારીએ ‘તત્વમસિ શક્તિ સમૂહ’ના માધ્યમથી ગ્રામ્યની 108 દીકરીની જવાબદારી ઉપાડી છે, જેમની પાસે માતાનો પડછાયો નથી. પોતે સિંગલ પેરેન્ટ હોવા છતાં સાવિત્રીબેન દીકરીઓને આર્થિક, શારીરિક અને ભાવનાત્મક ટેકો આપે છે. સંસ્થા સરકારી નોંધણી ધરાવતી નથી કે કોઈ પાસે ફંડ ઉઘરાવતી નથી. સાવિત્રીબેન અંગત સ્ત્રોતથી ખર્ચ ઉઠાવે છે. કાર્યમાં ક્રિષ્નાબેન જોશી અને દર્શનાબેન ઝાલા સહિત 60 બહેનો સેવા આપે છે. દીકરીઓના પર્સનલ હાઈજિનથી લઈ અભ્યાસ અને કરિયર કાઉન્સેલિંગ સુધીની બાબતોનું ધ્યાન ટીમ રાખે છે. દર વર્ષે દીકરીનું હેલ્થ ચેકઅપ કરાવાય છેઅમે દીકરીના શિક્ષણ માટે સ્કૂલના સંપર્કમાં રહીએ છીએ. દીકરી ગેરહાજર રહે કે ગુણ ઓછા આવે તો તેનું કારણ શોધી ઉકેલ લાવીએ છીએ. વર્ષમાં એકવાર દીકરીઓનું હેલ્થ ચેકઅપ કરાવીએ છીએ. > સાવિત્રીબેન તિવારી, સ્થાપક, તત્વમસિ શક્તિ સમૂહ કેસ સ્ટડી-1 | લગ્ન માટે મજબૂર દીકરી થયેલી હવે કોલેજની સાથે નોકરી કરે છેસિંગલ પેરેન્ટ માતા આર્થિક તંગીથી પુત્રીના લગ્ન કરાવવા માગતી હતી. સાવિત્રીબેનની ટીમે કાઉન્સેલિંગ કર્યું. તે પછી દીકરીએ ધો.12 સારા માર્ક્સ સાથે પાસ કર્યું અને હવે કોલેજ સાથે નોકરી કરે છે. કેસ સ્ટડી-2 | બીમારીને કારણે શિક્ષણ છોડનાર દીકરી ફરી શાળાએ જતી થઈશારીરિક-માનસિક અસ્વસ્થતાથી બાળકીએ શાળા છોડી હતી. માતા લાચાર હતી, પણ સંસ્થાએ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવી હતી. દીકરી સ્વસ્થ થઈ અને શિક્ષણ પુનઃ શરૂ થયું છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:21 am

IPL મેચ પર સટ્ટો:નેહરુનગરનો જમીન-મકાનનો ધંધાર્થી ઝડપાયો

રાજકોટ શહેરમાં ક્રિકેટ સટ્ટાબાજી સામે પોલીસની કાર્યવાહી વધુ કડક બની રહી છે. ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી રોડ તરફ આવેલા સેવન સ્ક્વેર બિલ્ડિંગ સામે જાહેર રોડ પર પીસીબી ટીમે દરોડો પાડી ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ પર સટ્ટો રમતા એક શખ્સને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપી આશિફ ઉર્ફે આલાપ મહેબૂબ કારિયાણિયા (રહે. નેહરુનગર) જમીન-મકાનના ધંધામાં સંકળાયેલ હોવાનું બહાર આવ્યું છે.પોલીસ તપાસમાં કબાટ અને બગી નામના બે બુકીના નામ ખૂલવાની સંભાવના વ્યક્ત થઇ છે. અમદાવાદથી રાજકોટ તરફ આવતી સ્વિફટ કારમાં બેઠેલો શખ્સ ક્રિકેટ સટ્ટો રમી રહ્યાની પીસીબીના સ્ટાફને બાતમી મળી હતી. પીસીબીના સ્ટાફે મળેલી બાતમીના આધારે કુવાડવા ચોકડી પાસે વોચ ગોઠવી સ્વિફ્ટ કારનો પીછો કરીને સેવન સ્ક્વેર બિલ્ડિંગ પાસે રોકી તપાસ કરવામાં આવી હતી. કારમાં બેઠેલા આરોપીના મોબાઇલની તપાસ કરતા બ્રાઉઝરમાં રૂ.62,19,830નું બેલેન્સ જોવા મળ્યું હતું તેમજ ક્રિકેટ મેચ પર હાર-જીતના સોદા નોંધાયેલા મળ્યા હતા. વધુમાં તેની પાસે મળેલી ચિઠ્ઠીમાં તા.11-04-2026ની નોંધ સાથે સાંકેતિક ભાષામાં સટ્ટાના વ્યવહારો લખેલા હોવાને કારણે સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો.પોલીસે આરોપી પાસેથી આશરે ₹30 હજારનો મોબાઇલ કબજે કર્યો છે. આ અંગે પીસીબીના પોલીસ કર્મચારી નગીનભાઇ પોલાભાઇ ડાંગરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી તરીકે આશિફ ઉર્ફે આલાપ મહેબૂબ કારિયાણિયા, મોબાઇલ નં.90239 07864ના ધારક અને મોબાઇલ નં.84878 21621ના ઉપયોગ કરનાર અને તપાસમાં ખૂલે તેનું નામ આપ્યું છે. જેના આધારે બી-ડિવિઝન પોલીસે બે મોબાઇલ નંબરધારક સહિત ત્રણ સામે ગુનો નોંધાયો છે અને ફરાર સાગરીતોની શોધખોળ શરૂ કરી છે. આ સટ્ટામાં અન્ય કેટલાક વધુ શખ્સો સંડોવાયા હોવાની શંકાને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત સટ્ટાના આ રેકેટના મૂળ સુધી પહોંચવા પોલીસ ટેક્નોલોજીનો પણ સહારો લેશે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:18 am

ઓફિસમાં જુગારધામ:2 બુકી ઝડપાયા, 4ની સંડોવણી ખૂલી, મનપાના AAP ઉમેદવારના પુત્રનું નામ ખુલ્યુ

રાજકોટમાં હાલ આઈ.પી.એલ. (IPL) ની સિઝન બરાબરની જામી છે, ત્યારે ક્રિકેટના આ રોમાંચની આડમાં રાતોરાત લખપતિ બનવા સટ્ટાખોરો પણ મેદાનમાં ઉતર્યા છે. જોકે આ સટ્ટાખોરીને નેસ્તનાબૂદ કરવા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એક આલિશાન ઓફિસમાં આઈ.પી.એલ.ની મેચ પર ઓનલાઈન-ઓફલાઈન સટ્ટો રમાડાતો હોવાની બાતમીના આધારે પોલીસે મેગા ઓપરેશન પાર પાડી બે શખ્સને રંગે હાથ ઝડપી લીધા છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી વિગત રાજકીય કનેક્શનની સામે આવી છે, જેમાં આમ આદમી પાર્ટીના નેતાના પુત્રની સંડોવણી ખૂલતાં રાજકીય મોરચે પણ ગરમાવો આવીગયો છે. ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એમ.આર. ગોંડલિયા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, 150 ફૂટ રિંગ રોડ પર આવેલ R.K. પ્રાઈમ બિલ્ડિંગના બીજા માળે આવેલી એક ઓફિસમાં સટ્ટાનું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે. જેના આધારે પીએસઆઈ એસ.વી. ચુડાસમાની ટીમે આયોજનબદ્ધ રીતે રેડ કરતા જયદીપ અને દર્પણ નામના બે શખ્સ આઈ.પી.એલ. મેચ પર સોદા લેતા આબાદ ઝડપાઈ ગયા હતા. સટ્ટામાં જેમના નામ ખૂલ્યા છે તે આરોપીઓને ઝડપી લેવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ મુદ્દામાલ કરાયો કબજે પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી આધુનિક ગેજેટ્સ અને રોકડ મળી કુલ રૂ.65,000નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં નીચેની વસ્તુઓ સામેલ છે: સટ્ટાનું અમદાવાદ કનેક્શન: 4 આરોપી હજુ ફરારપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ સટ્ટાનું નેટવર્ક માત્ર રાજકોટ પૂરતું સીમિત નથી. આ કેસમાં અમદાવાદના તાર પણ જોડાયેલા છે. નીચે મુજબના ચાર શખ્સના નામ ખુલ્યા છે, જેમને પકડવા પોલીસે ટીમો દોડાવી છે: (1) વત્સલ પરેશભાઈ શિંગાળા (AAP ઉમેદવારનો પુત્ર - હાલ રહે. અમદાવાદ),(2) વિજય ઉર્ફે વી.એમ., (3) દેવાંગ ડાભી, (4) જે.ડી. રાજકીય ગરમાવો: મનપાની ચૂંટણી લડતા પિતા માટે કફોડી સ્થિતિ થઈપકડાયેલા બન્ને શખ્સની સઘન પૂછપરછમાં સટ્ટાબાજીના આ ખેલમાં મોટા માથાઓના નામ ખુલ્યા છે. આ કેસમાં વોન્ટેડ જાહેર થયેલો વત્સલ શિંગાળા રાજકોટ મનપાની ચૂંટણીમાં વોર્ડ નં.7 માં આમ આદમી પાર્ટી (AAP) એ ઊભા રાખેલા ઉમેદવાર પરેશ શિંગાળાનો પુત્ર છે. એક રાજકીય આગેવાનના પુત્રનું જ નામ સટ્ટાબાજીના નેટવર્કમાં ખૂલતાં શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ઝડપાયેલા આરોપીઓની વિગત (1) જયદીપ દિનેશભાઈ જાદવ (ઉ.વ.30, રહે. નંદા હોલ પાસે, કોઠારિયા રોડ) (2) દર્પણ હરેશભાઈ બારસિયા (ઉ.વ.28, રહે. હરિ ઘવા મેઈન રોડ) (નોંધ: દર્પણ બારસિયા સામે અગાઉ પણ અપહરણ, મારામારી અને છેતરપિંડીના ગુના નોંધાયેલા છે.)

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:18 am

કરુણ દુર્ઘટના સર્જાઈ:રાજકોટના આજી ડેમ પાસે ખાણમાં પગ લપસતાં કારખાનેદારનું મોત

રાજકોટ નજીક આજી ડેમ વિસ્તારમાં એક અકસ્માતમાં 68 વર્ષીય કારખાનેદારનું મોત નીપજ્યું છે. ભગવાનને ચડાવેલા ફૂલ પધરાવવા ગયેલા વૃદ્ધનો પગ લપસતાં તેઓ ખાણમાં ખાબક્યા હતા, જ્યાં ગંભીર ઈજાઓને કારણે તેમનું મોત થયું હતું. બનાવની પ્રાપ્ત માહિતી મુજબ, કોઠારિયા ગામમાં રહેતા અને રામનાથ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં કારખાનું ધરાવતા પરસોત્તમભાઈ કાળાભાઈ કિયાડા (ઉં.વ.68) રવિવારે સવારે અંદાજે 11 વાગ્યે પોતાના કારખાને ગયા હતા. કારખાનામાં આવેલા મંદિરમાં ભગવાનને ચડાવેલા ફૂલો પધરાવવા માટે તેઓ નજીક આવેલી ખાણ તરફ ગયા હતા. આ દરમિયાન અચાનક તેમનો પગ લપસી જતાં તેઓ સીધા ખાણમાં ખાબક્યા હતા. ઘટના સમયે ત્યાંથી પસાર થતા રાહદારીઓએ તરત જ દોડી જઈ તેમને બહાર કાઢ્યા હતા. ગંભીર હાલતમાં પરસોત્તમભાઈને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર, પરસોત્તમભાઈ દર રવિવારે નિયમિતપણે પોતાના કારખાનાના મંદિરમાં ચડાવેલા ફૂલ આ સ્થળે પધરાવવા આવતા હતા. તેમના પરિવારમાં બે દીકરા અને ત્રણ દીકરી છે. આ બનાવ અંગે આજી ડેમ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:16 am

બે વર્ષથી ફરાર આરોપીને ડીસીબીએ પકડ્યો:બોગસ બિલિંગના ખેલમાં ભાવનગરનો ‘લાલો’ પકડાયો

રાજકોટ શહેરમાં નકલી દસ્તાવેજોના આધારે પેઢીઓ બનાવી જી.એસ.ટી. ક્રેડિટ મેળવવાના મસમોટા કૌભાંડમાં સંડોવાયેલા અને વર્ષ 2024થી પોલીસને થાપ આપી રહેલા આરોપીને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે. ભાવનગરનો આ શખ્સ જૂનાગઢથી રાજકોટ થઈ અમદાવાદ જવાની ફિરાકમાં હતો, ત્યારે જ પોલીસે તેને વૉચ ગોઠવી બે વર્ષથી વોન્ટેડ લાલો ઉર્ફે સોહિલને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો. ખાનગી રાહે મળેલી બાતમી અને ઓપરેશનરાજકોટ પોલીસ દ્વારા વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા મેગા ડ્રાઇવ ચાલી રહી છે જેના ભાગરૂપે નાસતા ફરતા આરોપીઓને દબોચવા માટે ટેક્નિકલ સોર્સ અને હ્યુમન સોર્સને કામે લગાડાયા છે. ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સચોટ બાતમી મળી હતી કે આરોપી સોહિલ ઉર્ફે લાલો રાજકોટ વિસ્તારમાંથી પસાર થવાનો છે. ટેક્નિકલ સોર્સના આધારે પોલીસે તેને ઘેરી લઇ ઝડપી લીધો હતો. હાલ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે જેથી આ કૌભાંડના અન્ય છેડાઓ પણ ખૂલી શકે છે. સોહિલ ઉર્ફે લાલો અમીનભાઇ શેખની ઉમર 36 વર્ષ છે તે ભાવનગરના શિશુવિહાર, મફતનગર શેરી નં.5માં રહે છે. તેની સામે આઇપીસી કલમ 465, 467, 468, 471, 474, 420, 120(B) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. લાલા સામે 5 ગુના નોંધાયાપકડાયેલ આરોપી સોહિલ કોઈ સાધારણ ગુનેગાર નથી, તેનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે: ગંગાજળિયા (ભાવનગર): હત્યાનો પ્રયાસ (307) અને પોલીસ પર હુમલો.સી-ડિવિઝન (ભાવનગર): ગંભીર ઈજા (326) અને જી.પી. એક્ટ હેઠળ ગુનો.ઘોઘા રોડ (ભાવનગર): બીજાના નામે છેતરપિંડી (419).ઘોઘા રોડ (ભાવનગર): મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી.પાલિતાણા: 406, 420 હેઠળ છેતરપિંડી અને વિશ્વાસઘાત.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:15 am

પરિણીતાએ કરી આત્મહત્યા:પ્રેમી સાથે ભાગેલી પરિણીતાએ પિયરમાં પરત આવી સાસરિયાંની નજર સામે કરી આત્મહત્યા

રાજકોટના સંત કબીર રોડ પર આવેલી શક્તિ સોસાયટીમાં 20 વર્ષીય પરિણીતાએ પરિવારજનોની નજર સામે જ એસિડ પી લેતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું છે. બે દિવસથી પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતાએ પતિ પાસે ફરી સાસરે જવું પડશે તેવા ડરને કારણે એસિડ ગટગટાવી લઇ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના સામા કાંઠા વિસ્તારમાં સંત કબીર રોડ પર આવેલી શક્તિ સોસાયટીમાં પિયરમાં રહેતી રિદ્ધિબેન રણછોડભાઈ ધોળકિયા(ઉં.વ.20)ના લગ્ન ત્રણ વર્ષ પૂર્વે આજી ડેમ નજીક માંડાડુંગર વિસ્તારમાં રહેતા યુવક સાથે થયા હતા. જોકે, લગ્નજીવન દરમિયાન રિદ્ધિને અન્ય એક યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. આ પ્રેમસંબંધને પગલે તે બે દિવસ પૂર્વે મૈત્રીકરાર કરી પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જોકે દીકરીના ભવિષ્યને ધ્યાને રાખી તેના માતા-પિતાએ આ સંબંધનો સ્વીકાર કરવાની ખાતરી આપી તેને પિયર પરત બોલાવી લીધી હતી. પરિવારના જણાવ્યા મુજબ, રિદ્ધિના તેના પતિ સાથે છૂટાછેડા લેવાની પ્રક્રિયા હાલમાં કાર્યરત હતી. શનિવારે સાંજે રિદ્ધિનો સામાન લેવા માટે તેના સાસરિયાં પક્ષના સભ્યો પિયર શક્તિ સોસાયટીમાં આવ્યા હતા. સાસરિયાંઓને જોઈને રિદ્ધિએ તેણીને તેના પતિ સાથે રહેવા માટે પરિવારના સદસ્યો મોકલી દેશે તેવી બીક સતાવતા તેણીએ સાસરિયાં અને પોતાના પરિવારની સામે જ અચાનક જ એસિડની બોટલ ગટગટાવી લીધી હતી.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:14 am

ભાસ્કર એક્સક્લુસિવ:જાનીનો પ્રદેશ પ્રમુખને તીખો સવાલ : રૂપાલા સામે તો વિરોધ હતો છતાં ટિકિટ ન કાપી, મારી કેમ કાપી?

જન સંકલ્પ યાત્રાના અન્વયે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટ આવ્યા હતા. તેઓએ ચારેય વિધાનસભા વિસ્તારમાં કાર્યક્રમમાં હાજરી આપી હતી. સવારે કાર્યક્રમ પૂરો થતા જ ભાજપની ટિકિટ ન મળતા જેમને અસંતોષ હતો તેવા 14ને શહેર ભાજપ પ્રમુખ માધવ દવેના ઘરે બોલાવાયા હતા અને ત્યાં વિશ્વકર્માએ તેમને સાંભળ્યા હતા. આ દરમિયાન કાર્યકરોએ જે તીખા સવાલો કર્યા તેનાથી પ્રદેશ પ્રમુખ પણ આશ્ચર્યચકિત થયા હતા, સ્થાનિક આગેવાનો સમસમી ગયા હતા. શૈલેષ જાની છેલ્લે સુધી ઉમેદવાર હતા અને અચાનક જ નેહલ શુક્લને મેન્ડેટ મળ્યો હતો. આ બાબતે વિશ્વકર્મા સમક્ષ જાનીએ વ્યથા ઠાલવી હતી કે,‘મેં વર્ષો સુધી ભાજપનું કામ કર્યું છે કદી વિવાદમાં આવ્યો નથી. સાંસદ પરસોત્તમ રૂપાલા સામે તો વિરોધનો બવંડર હતો છતાં તેમની ટિકિટ પક્ષે યથાવત્ રાખી હતી. હું તો શિક્ષક છું, અત્યાર સુધીમાં 50,000ને ભણાવ્યા છે અને તમામ વિદ્યાર્થી સંપર્કમાં છે તો પછી મારી ટિકિટ કેમ કાપી નાખી?’ આ ઉપરાંત વોર્ડ નં.9-10માં સક્રિય કાર્યકર હરેશ કાનાણી તો ભાવુક થઈ ગયા હતા તેઓએ કહ્યું હતું સંગઠનમાં ઘણું કામ કર્યું છે તો પણ ટિકિટ નથી આપી તો હવે અમારે ટિકિટ માટે ક્યા નેતાના પગ પકડવા? જેમના સમર્થકોએ હલ્લો કર્યો હતો તે પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીએ કહ્યું હતું કે, તેઓ 15 વર્ષથી સક્રિય છે જ્યારે પક્ષે 15 વર્ષથી નિષ્ક્રિય પંકજ લુણાગરિયાને ટિકિટ આપી છે. હેમુ પરમારને ટિકિટ ન મળતા તેમના ટેકેદારોએ પણ રાત્રે હલ્લો કર્યો હતો. હેમુએ કહ્યું હતું કે, ‘ઉદય કાનગડ જેવો કોઇ માણસ ન થાય તેને ખૂબ કામ કર્યું અને ધારાસભ્ય આવા જ હોવા જોઈએ. અમે પણ તેમની જેમ કામ કર્યા છે છતાં હજુ સુધી કોર્પોરેશનની ટિકિટ અપાઈ નથી.’ આ દરમિયાન પૂર્વ કોર્પોરેટર અને દંડક રહી ચૂકેલા સુરેન્દ્રસિંહ વાળાએ પ્રદેશ પ્રમુખને કહ્યું હતું કે, ‘હું તો કોઇ કેટેગરીમાં કપાતો ન હતો આમ છતાં મને શું કામ કાપ્યો તેનું સાચું કારણ શહેર પ્રમુખ માધવભાઈ મને કહી દે એવી સૂચના આપી દો મારે બીજું કશું નથી જાણવું!’ આ બધી બાબતોમાં વિશ્વકર્માએ માથું હલાવી પોલિટિકલ જવાબ આપ્યા હતા. આ બધી વાતો વચ્ચે મોહિતસિંહ પૃથ્વીસિંહ જાડેજાને ટિકિટ અપાઈ છે તેની ચર્ચા ચાલી હતી. તેમાં શૈલેષ ડાંગરે પોતાનો ફોન કાઢ્યો અને તેમાં પૃથ્વીસિંહ જાડેજા આમ આદમી પાર્ટીની સભામાં બેઠા હોય તેવા ફોટા બતાવ્યા હતા. કહ્યું હતું કે, જેમને ભાજપે ટિકિટ આપી તે તો આપને વળેલા છે! આ સાંભળતા ફરી સ્થાનિક આગેવાનો ભોઠપમાં પડ્યા હતા. આ આગેવાનો ઉપરાંત સંજય દવે, શૈલેષ હાપલિયા, કુલદીપસિંહ(વોર્ડ નં.10) ભગતભાઈ સહિતના અસંતોષીઓ આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:12 am

ભાસ્કર ઇમ્પેક્ટ:પરીક્ષા કામગીરીના બહિષ્કારનો અંત, નાણાં આજથી જમા થશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને અધ્યાપકો વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ચાલતા પેમેન્ટના વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. અધ્યાપકોના બાકી નીકળતા પરીક્ષા એસેસમેન્ટના બિલો મુદ્દે વાઈસ ચાન્સેલર (VC) સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં યુનિવર્સિટી વહીવટી તંત્રએ નમતું જોખ્યું છે. આગામી તા.13 એપ્રિલ, સોમવારથી અધ્યાપકોના બેંક ખાતામાં નાણાં જમા થવાની પ્રક્રિયા શરૂ કરવાની ખાતરી મળતા અધ્યાપક મંડળે હડતાળ સમેટી લીધી છે. તા.11 એપ્રિલના રોજ વાઈસ ચાન્સેલરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તાર અધ્યાપક મંડળના પ્રમુખ ડૉ.કિરપાલસિંહ પરમાર, મહામંત્રી ડૉ. નારણભાઈ ડોડિયા અને શૈક્ષિક સંઘના હોદ્દેદારો સાથે મહત્ત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં અધ્યાપકોના પડતર પ્રશ્નો અને ખાસ કરીને એસેસમેન્ટના બિલોની ચૂકવણી અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. VC એ હૈયાધારણા આપી છે કે સોમવારથી પેમેન્ટ શરૂ થઈ જશે. અધ્યાપક મંડળે જણાવ્યું હતું કે, તમામ અધ્યાપકોએ બતાવેલી એકતાને કારણે આ સફળતા મળી છે. નાણાંની ખાતરી મળતા જ મંડળે તમામ અધ્યાપક મિત્રોને વિનંતી કરી છે કે, સોમવારથી યુનિવર્સિટીના પેપર સેટિંગ, એસેસમેન્ટ, સ્ક્વોડ અને ઓબ્ઝર્વર જેવી તમામ ફરજોમાં ફરી જોડાઈ જવું. છેલ્લા ત્રણ વર્ષનું પેપર ચેકિંગના બાકી નાણા પ્રોફેસરોને ન ચૂકવતા પરીક્ષા સંબંધિત કામગીરીનો એક હજારથી વધુ અધ્યાપકોએ બહિષ્કાર કર્યો હતો. વીસી સાથેની બેઠકમાં સુખદ સમાધાન થયું હતું.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:10 am

જ્ઞાન સંકલ્પ યોજના-9:ભણવામાં તેજસ્વી પણ આર્થિક નબળા વિદ્યાર્થીઓ માટે ‘શિક્ષણની ઢાલ’

‘સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ’ દ્વારા છેલ્લા 8 વર્ષથી ‘જ્ઞાન સંકલ્પ યોજના-9’ હેઠળ આ વર્ષે પણ ધોરણ 8 પાસ કરી ચૂકેલા તેજસ્વી અને આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને ધોરણ 9 થી 12 સુધીનું નિ:શુલ્ક શિક્ષણ અપાશે. દર વર્ષે અંદાજે 150થી 200 જેટલા વિદ્યાર્થીઓ આ યોજના માટે પ્રવેશ પરીક્ષા આપે છે, જેમાંથી મેરિટ અને પરિવારની આર્થિક જરૂરિયાતને ધ્યાને રાખીને ટોચના 20 બાળકોની પસંદગી કરવામાં આવે છે. પસંદ થયેલા 20 વિદ્યાર્થીઓના ધો.9થી 12 સુધીના અભ્યાસનો તમામ ખર્ચ ઉપાડે છે. જેમાં શાળાની ફી, યુનિફોર્મ અને પુસ્તકો, અન્ય શૈક્ષણિક સાધન-સામગ્રી. આ તમામ સુવિધાઓ સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં 180થી વધુ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ પોતાની કારકિર્દી બનાવી ચૂક્યા છે. ચાલુ વર્ષે ધો.8ની પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓએ તા.20 એપ્રિલ સુધીમાં મુરલીધર શૈક્ષણિક સંકુલ 8/11, વર્ધમાનનગર, પેલેસ રોડ ખાતે ડો.અનુભાભાઈ વ્યાસ અથવા સુરભિબેન આચાર્યનો સંપર્ક કરવો. એક દીપક અનેક દીપકને પ્રગટાવી સમાજમાં નામ રોશન કરે ત્યારે પ્રોજેક્ટ ખરા અર્થમાં સાર્થક ગણાયઆ પ્રોજેક્ટ સમાજના જરૂરિયાતમંદ પરિવારના તેજસ્વી બાળકો માટે હાથ ધરવામાં આવ્યો છે અને પ્રતિવર્ષ આ પ્રોજેક્ટ સતત આગળ વધતો રહે અને સમાજને તેજસ્વી તારલાઓ મળતા રહે તે માટે કટિબદ્ધ છીએ. અમે એક દીપ પ્રગટાવી એક પરિવારને આગળ લાવીએ અને આ એક દીપક અનેક દીપકને પ્રગટાવી સમાજમાં નામ રોશન કરે ત્યારે પ્રોજેક્ટ ખરા અર્થમાં સાર્થક ગણાય. આ પ્રોજેક્ટ શહેરની નામાંકિત શાળાઓમાં પણ સહયોગી થઇ પોતાનું યોગખાન આપે છે. - દર્શિતભાઈ જાની, પ્રમુખ, સમસ્ત બ્રહ્મસમાજ-રાજકોટ

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:10 am

ટ્રેનની અવરજવર વધુ ઝડપી બનશે:રાજકોટ રેલવેમાં બે નવા ટ્રેક્શન સબ-સ્ટેશન શરૂ; ટ્રેન હવે પવનવેગે દોડશે, વીજવિક્ષેપ નહીં થાય

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના ટ્રેક્શન ડિસ્ટ્રિબ્યૂશન (TrD) વિભાગે આધુનિકીકરણ તરફ હરણફાળ ભરી છે. રેલવે તંત્ર દ્વારા વર્ષ 2025-26 દરમિયાન પાયાના માળખામાં કરેલા મહત્ત્વના ફેરફારોને કારણે હવે મુસાફર ટ્રેન અને માલગાડીઓના સંચાલનમાં મોટી ક્રાંતિ જોવા મળશે. ખાસ કરીને વીજ પુરવઠાની ખાતરી મળતા હવે ટ્રેન વચગાળે અટકી પડવાની કે ગતિ ધીમી પડવાની સમસ્યાઓનો કાયમી ઉકેલ આવી ગયો છે. રાજકોટ ડિવિઝનમાં બે નવા ટ્રેક્શન સબ-સ્ટેશન શરૂ થતા હવે ટ્રેન પવનવેગે દોડશે. વોલ્ટેજ ડ્રોપની સમસ્યા ભૂતકાળ બનશે, વાંકાનેર અને ગોરિંજામાં TSS કાર્યરત થતા બ્રેકડાઉનમાં ઘટાડો થશે. ટ્રેનની અવરજવર વધુ ઝડપી બનશે. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ડિવિઝન દ્વારા વાંકાનેર અને ગોરિંજામાં બે નવા ટ્રેક્શન સબ-સ્ટેશન (TSS) સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યા છે. આ નવા સબ-સ્ટેશનો કાર્યરત થવાથી વિવિધ રેલવે સેક્શનમાં જોવા મળતી વોલ્ટેજ વધ-ઘટની સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ છે. ટ્રેન માટે હવે અવિરત અને હાઈ-વોલ્ટેજ વીજપુરવઠો સુનિશ્ચિત થયો છે, જે ટ્રેનની ગતિ જાળવી રાખવામાં મદદરૂપ થશે. ટેક્નિકલ નવીનતા : બ્રેકડાઉન અટકાવવા આ છે ‘માસ્ટર પ્લાન’ માલસામાનના પરિવહન માટે ‘ગ્રીન કોરિડોર’ ટ્રેન મોડી પડવાના કિસ્સાઓ નહિવત થશેઆ તમામ ફેરફારોનો સીધો ફાયદો સામાન્ય મુસાફરોને મળશે, કારણ કે હવે વીજપુરવઠાના અભાવે ટ્રેન મોડી પડવાના કિસ્સાઓ નહિવત થઈ જશે. કર્મચારીઓની સલામતી માટે હવે ફૂટ પેટ્રોલિંગ સ્ટાફને GPS ટ્રેકરથી સજ્જ કરાયા છે, જેથી ઈમર્જન્સીના સમયે તેમનું ચોક્કસ લોકેશન જાણી શકાય. ગિરિરાજકુમાર મીના, DRM, રાજકોટ

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:09 am

ઉનાળામાં ગૌસેવાનો અનોખો પ્રયોગ:શ્રીજી ગૌશાળામાં 15 વર્ષથી ગાયોને વરિયાળી, ગોળનું શરબત પીવડાવાય છે

રાજકોટ જામનગર હાઈવે પર આવેલી શ્રીજી ગૌશાળામાં ઉનાળાની કડક ગરમી સામે ગાયોની સંભાળ માટે અનોખી સેવા પરંપરા જળવાઈ રહી છે. છેલ્લા 15 વર્ષથી ગૌશાળાના સેવકો દ્વારા દર રવિવારે ગાયોને વરિયાળી અને ગોળનું શરબત પીવડાવી તેમને લૂથી બચાવવા તેમજ પાચનક્રિયા મજબૂત બનાવવા પ્રયત્ન કરવામાં આવે છે. શ્રીજી ગૌશાળા માનવતા અને સેવા ભાવનાનું જીવંત કેન્દ્ર બની છે. અહીં આશ્રય પામેલી 2086 જેટલી ગાયને ઉનાળાની તીવ્ર ગરમીથી બચાવવા ગૌશાળાના સેવકો વર્ષોથી નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે. ગાયોને ઠંડક અને તાજગી મળે તે માટે દર વર્ષે ઉનાળામાં ખાસ કરીને વરિયાળી અને ગોળનું શરબત પીવડાવવામાં આવે છે. આ સેવા માત્ર એક પ્રવૃત્તિ નહીં, પરંતુ ગૌસેવા પ્રત્યેની ઊંડી લાગણીનું પ્રતિબિંબ છે. ગૌશાળાના સેવકો પોતપોતાની રીતે જવાબદારીઓ વહેંચી લે છે, કોઈ ગોળ પલાળે છે, તો કોઈ વરિયાળીનો ભૂક્કો તૈયાર કરે છે. સહકાર અને સમર્પણથી તૈયાર થતું આ શરબત ગાયોને ગરમીમાં રાહત આપીને તેમના સ્વાસ્થ્યને સંભાળ રખાય છે. આ વર્ષે પણ ઉનાળાની શરૂઆત સાથે જ રવિવારથી આ સેવા કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દર રવિવારે સવારે 7થી 10 વાગ્યા સુધી ગાયોને શરબત પીવડાવવામાં આવે છે. એક જ દિવસે આશરે 500 કિલો ગોળ અને 16 કિલો વરિયાળીનો ઉપયોગ કરી વિશાળ પ્રમાણમાં શરબત તૈયાર કરવામાં આવે છે, જે ગાયોની પાચનક્રિયા સુધારવામાં અને તંદુરસ્તી જાળવવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. આ અનોખી પહેલના પ્રણેતા પ્રભુદાસ કાંતિલાલ તન્ના, જેને દાસભાઈ તરીકે ઓળખવામાં આવે છે, તેમણે વર્ષો પહેલાં ગાયોની તબિયત પર ઉનાળાની ગરમીના પ્રભાવને ધ્યાનમાં રાખીને આ વિચાર અમલમાં મૂક્યો હતો. તેમના મત મુજબ, વધારે ગરમીના કારણે ગાયોની પાચનશક્તિ નબળી પડે છે, જેના કારણે અનેક આરોગ્ય સમસ્યાઓ ઊભી થાય છે. આથી સરળ અને અસરકારક ઉપાય તરીકે તેમણે આ સેવા શરૂ કરી હતી. આજેય તેમની પ્રેરણાથી ગૌશાળાના સેવકો એ જ ઉત્સાહ અને સમર્પણ સાથે આ સેવા કાર્ય આગળ વધારી રહ્યા છે. સેવા, સંવેદના અને સંસ્કારનું આ સુંદર સંકલન અન્ય લોકો માટે પણ પ્રેરણાસ્રોત બની રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:06 am

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:સિવિલના રેસિડેન્ટ તબીબે રૂ.500 માં ડમીને આપી ડ્યૂટી, દર્દીઓને વિદ્યાર્થી આપતો હતો ઈન્જેક્શન!

પરીક્ષા આપવામાં ઘણા ઠોઠ વિદ્યાર્થી પરીક્ષા પાસ કરવા માટે ડમી વિદ્યાર્થી બેસાડતા હોય છે પણ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબે આરામ કરવા માટે પોતાની જગ્યાએ ડમી વ્યક્તિને ડોક્ટર તરીકે વોર્ડમાં સારવાર કરવા માટે રાખે છે. આ માટે રેસિડેન્ટ તબીબો ડમીને દિવસની હાજરીના 500 રૂપિયા અને રાત્રે ડ્યૂટી કરવાના પ્રતિ દિવસના 1000 રૂપિયા આપતા હોવાનો દિવ્ય ભાસ્કરની તપાસમાં પર્દાફાશ થયો છે. મેડિસિન વિભાગના રેસિડેન્ટ તબીબ આર્યન પટેલ કે જે એમડીના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. તેમણે અભ્યાસની સાથે ડ્યૂટી પણ કરવાની હોય છે. આ ડ્યૂટીમાં તેમણે પોતાની જગ્યાએ 500 રૂપિયા પ્રતિ દિવસના લેખે વિશાલ જોશી નામની વ્યક્તિને ડમી તરીકે રાખ્યો છે. ડો.પટેલની ડ્યૂટી હોય ત્યારે વિશાલ તેમની બદલે વોર્ડમાં આવે અને દર્દીઓને ઈન્જેક્શન આપે તેમજ બાટલા પણ ચડાવે છે. વિશાલ જોશી કોઇ ડોક્ટર કે નર્સિંગનો સ્ટુડન્ટ પણ નથી તે હોમિયોપેથી કોલેજમાં બીજા વર્ષમાં ભણે છે. હોમિયોપેથીમાં ઈન્જેક્શન કે બાટલા ચડાવવાની મંજૂરી જ નથી હોતી પણ રેસિડેન્ટ તબીબો પૈસા આપે અને વિદ્યાર્થીઓ કામ કરે છે. રવિવારે સવારના સમયે ઈમર્જન્સી વોર્ડમાં વિશાલ એક દર્દીને ઈન્જેક્શન મારતો હતો ત્યારે જ રંગે હાથ પકડાયો હતો અને ક્યા અભ્યાસ કરે છે તે પૂછવા જતા જ નાસી ગયો હતો. દરેક તબીબ માટે એપ્રન અને નેમ પ્લેટ ફરજિયાત, રાજકોટ સિવિલમાં પાલન જ નહિ!સરકારી હોસ્પિટલમાં નિયમ છે કે રેસિડેન્ટ હોય, મેડિકલ ઓફિસર હોય તેઓએ ડ્યૂટી દરમિયાન એપ્રન પહેરવાનું હોય છે અને તેમાં નેમ પ્લેટ રાખીને પોતાનું નામ અને હોદ્દો લખવાનો હોય છે. જેથી દર્દી અને સ્ટાફને ખબર પડે કે કોણ સારવાર કરીને ગયું. રાજકોટ સિવિલમા આ નિયમનું પાલન જ નથી કરાવાતું જેથી આ રીતે ડમી તબીબો બેસાડી દેવાય અને કોઇપણ વ્યક્તિ આવીને સારવાર કરી જતા રહે. સિવિલમાં ઉંચા મૃત્યુદરનું આ છે કારણસિવિલ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓમાં મૃત્યુદર ખૂબ ઊંચો હોય છે તેની પાછળ આવા જ કારણો છે. સિનિયર તબીબો તેમના જુનિયર પર દબાણ નાખી કામ કરાવતા હોય છે અને રેસિડેન્ટ આવી રીતે ડમીને બેસાડી દેતા હોય છે. ડમીને ફક્ત એટલી જ સૂચના હોય છે કે, દર્દી શાંત રહે તેવા ઈન્જેક્શન આપવા અને નબળાઈ ન આવે એટલે બાટલા ચડાવવા. કોઇ દર્દી ગંભીર બને તો હાજર કોઇ હોતું નથી અને આવે ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હોય છે. નર્સિંગ સ્ટાફને બધી જ ખબર પણ બોલતા નથીકોઇપણ વોર્ડમાં ડ્યૂટી મુજબ પાંચ કે છ રેસિડેન્ટ આવતા હોય છે એટલે નર્સિંગ સ્ટાફ બધાને ઓળખતા જ હોય છે. અજાણ્યો વ્યક્તિ ઘૂસીને સારવાર કરે તેવું બને જ નહીં. પણ, આ સ્ટાફ પણ કામચોર હોય છે અને પોતે બાટલા ચડાવવા ન પડે, ઈન્જેક્શન આપવા ન પડે કોઇ દર્દીને સમસ્યા હોય તો જવું ન પડે અને તેમના બદલે ડમી જતા રહે તે માટે ચૂપ રહે છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:04 am

સિટી એન્કર:હવે ધોરણ 1 અને 2માં રિઝલ્ટ નહીં, ‘હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ’ અપાશે; માર્ક્સ નહીં પણ બાળકની આદતો અને આવડત લખાશે

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં હવે બાલવાટિકાથી ધોરણ 2 સુધી પરંપરાગત ‘લાલ-લીલી પેન’ વાળા રિઝલ્ટ ભૂતકાળ બનશે. શિક્ષણ વિભાગ દ્વારા અમલી કરાયેલ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ (HPC) એ માત્ર ગુણ પત્રક નથી, પરંતુ બાળકના વ્યક્તિત્વનો અરીસો છે. નવી શિક્ષણ નીતિ (NEP) મુજબ તૈયાર કરાયેલું આ કાર્ડ બાળકના 360-ડિગ્રી મૂલ્યાંકન પર આધારિત છે. જેમાં માર્ક્સ નહીં પણ બાળકની આદતો અને આવડત લખાશે. આ કાર્ડની સૌથી મોટી વિશેષતા એ છે કે, તેમાં બાળકને ‘ફેલ’ કરવામાં આવતું નથી. તેમાં બાળકની પ્રગતિના વિવિધ સ્તરો દર્શાવવામાં આવે છે. જો કોઈ બાળક કોઈ ચોક્કસ બાબતમાં પાછળ હોય, તો તેને ક્યા પ્રકારના પ્રોત્સાહનની જરૂર છે, તેની વિગતવાર નોંધ શિક્ષક દ્વારા કરવામાં આવે છે. અત્યાર સુધી વાલીઓ માત્ર ટકાવારી જોઈને બાળકની હોશિયારી નક્કી કરતા હતા, પરંતુ હવે આ કાર્ડ દ્વારા વાલીઓ જાણી શકશે કે તેમનું બાળક કઈ બાબતમાં કુદરતી રીતે જ પાવરધું છે. GCERTના આદેશ મુજબ, શાળાઓમાં હવે D1થી D4ના જૂના પત્રકોના બદલે આ ‘બહુપરિમાણીય’ કાર્ડ જ બાળકની ઓળખ બનશે. જૂની માર્કશીટ એ માત્ર ‘ગઈકાલ’ (બાળકે કેટલું યાદ રાખ્યું)નો હિસાબ હતી, જ્યારે આ નવું હોલિસ્ટિક કાર્ડ એ બાળકની ‘આવતીકાલ’ (તેમાં કેવી ક્ષમતાઓ છે) નો રોડમેપ છે. વાલીઓએ હવે માર્ક્સની પાછળ દોડવાને બદલે બાળકની રુચિ અને તે કેવી રીતે શીખે છે (લર્નિંગ પ્રોસેસ) તેના પર ધ્યાન આપવાનું રહેશે. શું છે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ (HPC)?‘હોલિસ્ટિક’ એટલે કે ‘સર્વાંગી’ અત્યાર સુધી બાળક ગણિત કે ભાષામાં કેટલા માર્ક્સ લાવ્યું તેના પર જ ભાર મુકાતો હતો, પરંતુ HPCમાં બાળકનો શારીરિક વિકાસ, તેની સામાજિક આદાન-પ્રદાનની ક્ષમતા અને તેની શીખવાની પ્રક્રિયાને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ કાર્ડમાં શિક્ષક ઉપરાંત ક્યારેક બાળક પોતે અને તેના સહપાઠીઓ પણ પ્રતિભાવ આપે તેવી જોગવાઈ છે. કાર્ડમાં બાળકની કઈ બાબતોનો ઉલ્લેખ હશે 1. વ્યક્તિગત અને સામાજિક ગુણો: 2. કૌશલ્ય આધારિત પ્રગતિ (Skills):

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:02 am

પ્રગતિશીલ ખેડૂત:મહેમદપુરના ધો. 10 પાસ ખેડૂતની કમાલ, રુ. 50 હજારમાં ખેતરમાં જ બનાવ્યો બાયોગેસ પ્લાન્ટ

પાટણના મહેમદપુર ગામના 48 વર્ષના ખેડૂત પુત્ર ઠાકોર રમેશજી અમરસંગજીએ ખેતીમાં નવો રાહ ચીંધ્યો છે.આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત ખેતીનો સમન્વય સાધી પોતાના ખેતરમાં જ 3000 લrટરની ક્ષમતા ધરાવતો બાયોગેસ પ્લાન્ટ તૈયાર કર્યો છે. આ પ્લાન્ટ દ્વારા તેઓ આજે રસોઈ માટે મફત ગેસ અને પાક માટે ઉત્તમ પ્રવાહી ખાતર મેળવી રહ્યા છે. તેમણે કેવી રીતે આ શક્ય બનાવ્યું તે જાણીએ. હું પાટણ તાલુકાના મહેમદપુર ગામનો વતની છું. ધોરણ 10 ( SSC) પાસ કરેલ છે. હું પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. અગાઉ જીવામૃત બનાવવા માટે પ્લાસ્ટિકના પીપડાનો ઉપયોગ કરતો હતો. જે પ્રક્રિયા મહેનત માંગી લે તેવી હતી. મોટી માત્રામાં જીવામૃત બને અને સાથે સાથે ઘર વપરાશ માટે મોંઘા ગેસ સિલિન્ડરમાંથી પણ રાહત મળે તેવા ઉદ્દેશ્ય સાથે મેં સાધન સામગ્રીની કીટ મેળવી રુ. 50,000ના ખર્ચે પોતાના ખેતરમાં જાતે જ પ્લાન્ટ કાર્યરત કર્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી તેનો હું ઉપયોગ કરી રહ્યો છું. મારો રાસાયણિક બિયારણ પાછળનો ખર્ચ શૂન્ય થઈ ગયો છે. સાથે ઘર વપરાશ માટે પણ આ પ્લાન્ટ માંથી મને ગેસ મળી રહ્યો છે. આ પ્લાન્ટ બનાવવા માટે અને સંચાલન શરૂ રાખવા માટે છાણ ગૌમૂત્ર ધન કચરો સહિતના મટીરીયલ માટે ઓછામાં ઓછી એક દેશી ગાય કે તેનાથી વધુ પશુધન હોવા જરૂરી છે. પ્લાન્ટ બનાવ્યા બાદ કોઈ બાહ્ય ખર્ચ થતો નથી. બાયોગેસ પ્લાન્ટની વિશેષતા અને કાર્યપદ્ધતિ બાયોગેસ પ્લાન્ટનો ફાયદો રમેશજી જણાવે છે કે, આ પ્લાન્ટમાંથી નીકળતા જીવામૃતનો ઉપયોગ તેમણે પોતાના 2 વીઘામાં વાવેલા ઘઉં, એરંડા તેમજ આંબા અને લીંબુના છોડમાં કર્યો છે. પરિણામે જમીનની ફળદ્રુપતા વધી છે અને પાકની ગુણવત્તામાં જબરદસ્ત સુધારો થયો છે. સૌથી મોટો ફાયદો એ છે કે હવે બજારમાંથી મોંઘા રાસાયણિક ખાતરો લાવવાની જરૂર પડતી નથી. આ પ્લાન્ટથી મારો મોટો ખર્ચ બચી ગયો અને ખેતી ઝેરમુક્ત બની છે. આ પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણો વધુ વિગત : 87801 95125 (તેજસ રાવળ - પાટણ સાથેની વાતચીતના આધારે)

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:00 am

કઈ સીટ પર કોની-કોની વચ્ચે ટક્કર, જુઓ ફોટો સાથેની યાદી:વડોદરા અને રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના આ ચહેરાઓ વચ્ચે જામશે જંગ, સુરતમાં BJPના ધૂરંધરો સામે AAPના કયા ફેસ?

પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. રાજ્યની 6 જૂની અને 9 નવી મળી કૂલ 15 મહાનગરપાલિકામાં ચૂંટણી જંગ જામ્યો છે. વડોદરા અને રાજકોટ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર છે. જ્યારે સુરતમાં સતત બીજી ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા આમ આદમી પાર્ટીએ કમર કસી છે. ત્યારે દિવ્યભાસ્કરે વડોદરા અને રાજકોટમાં ભાજપ વર્સિસ કોંગ્રેસ અને સુરતમાં ભાજપ વર્સિસ આપની ફોટો સાથેની યાદી તૈયાર કરી છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:00 am

સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણીનો છેલ્લો દિવસ:ઉમેદવારી રદ થતા ભારે હંગામો થવાની શક્યતા, 14 અને 15 એપ્રિલ ઉમેદવારો ફોર્મ પાછા ખેંચશે

રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ચૂંટણી અધિકારી દ્વારા 13 એપ્રિલને સોમવારના ઉમેદવારી પત્રકોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી ફોર્મ ચકાસણીના છેલ્લા દિવસે ગરમા ગરમી જોવા મળી શકે છે. આ દરમિયાન ફોર્મ રદ થતા ઉમેદવારો ભારે હંગામો પણ મચાવી શકે છે. જોકે, ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવામાં આવશે. આ દરમિયાન અનેક ઉમેદવારો દ્વારા હરીફ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચી લેવા માટે સામ, દામ, દંડ અને ભેદનો ભરપૂર પ્રયાસ કરશે. 15 એપ્રિલના ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસ બાદ કુલ કેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ રહેશે તે સ્પષ્ટ થશે. 15 મહાનગરપાલિકામાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ12 એપ્રિલને રવિવારના રોજ 15 મનપાઓમાં એક જ સમયે 'જનસેવા સંકલ્પ' કાર્યક્રમ સાથે ભાજપ ઉમેદવારોએ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. ભાજપના તમામ ઉમેદવારોએ નાત, જાત અને ધર્મ ભેદભાવ વિના પ્રજાની સેવા કરવાનો સંકલ્પ લીધો હતો. અમદાવાદમાં કાંકરીયા ખાતે મુખ્યમંત્રીએ 192 ઉમેદવારોને જનસેવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. બાદમાં ભૂપેન્દ્ર પટેલે તમામ કાર્યકર્તા સાથે ફોટો પણ પડાવ્યો હતો. રાજકોટમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ઉપસ્થિતીમાં કાર્યક્રમગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતેના જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. અહીં ગોવિંદ પટેલ, નીતિન ભારદ્વાજ સહિતના જૂના જોગીઓ હાજર પણ રહ્યા હતાં. આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડના ભાજપના 72 ઉમેદવારો અને કાર્યકર્તાઓએ જનસેવાનો સંકલ્પ લઈ પ્રચારની શરૂઆત કરી હતી. 'પોલીસ ભાજપના ઈશારે AAP ઉમેદવારોને ડરાવી-ધમકાવી રહી છે'સુરતમાં મનપાની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય પારો ગરમાયો હતો. આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોલીસ પ્રશાસન પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પોલીસ ભાજપના ઈશારે AAPના ઉમેદવારો અને કાર્યકર્તાઓને ડરાવી-ધમકાવી રહી છે. પહેલાં ફોર્મ પાછા ખેંચવા પૈસાની લાલચ આપી અને જો તેઓ ન માને તો દબાણ લાવવામાં આવ્યું હતું. ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની મિલીભગતનો દાવો કરતા કહ્યું કે, કોંગ્રેસે ભાજપના કહેવાથી 200 બેઠક પર એવા ઉમેદવારો ઊભા રાખ્યા છે જે માત્ર વિરોધ પક્ષના મતો તોડવાનું કામ કરે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:00 am

'સરકાર માત્ર ખાડા ખોદવામાં અગ્રેસર, વિકાસના નામે તો મીંડું છે':અટલાદરામાં પાણી, ગંદકી, ડ્રેનેજ અને રસ્તાઓ સહિતની વાત કરતાં જ સ્થાનિકોએ પિતો ગુમાવ્યો

વડોદરા મહાનગરપાલિકાની 26 એપ્રિલે ચૂંટણી છે. ત્યારે ભાસ્કરની ટીમ વડોદરા શહેરના વોર્ડ નં-12માં પહોંચી હતી, જ્યાં કેવો વિકાસ થયો છે, સમગ્ર વિસ્તારની શું પરિસ્થિતિ છે. અહીંના લોકો શું ઇચ્છી રહ્યા છે. અહીં લોકોનો શું છે મિજાજ અને આક્રોશ તે આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણીશું. વડોદરા શહેરના વોર્ડ નંબર-12ના લોકો હજી પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે અને તેમના વિસ્તારના કોર્પોરેટરો સામે તેમનામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશો હજી પણ પાણી, ગંદકી, ડ્રેનેજ, રસ્તાઓની સમસ્યાઓથી પરેશાન છે. જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે એક સ્થાનિક મહિલા ભાવિકાબેને કહ્યું કે, આ સરકાર માત્ર ખાડા ખોદવામાં જ અગ્રેસર રહી છે, બાકી વિકાસના નામે તો અહીં મીંડું જ છે. સૌથી પહેલા અમારી ભાસ્કર ટીમ અટલાદરા ગામમાં પહોંચી, જ્યાં પ્રમુખસ્વામી કુટિર સોસાયટીના રહીશો રોડની સમસ્યાથી હાલાકી ભોગવી રહ્યા છે. અટલાદરા વિસ્તારમાં જ પીવાના પાણીની પણ ગંભીર સમસ્યા છે. લોકોને 2થી 5 કિલોમીટર ચાલીને અટલાદરા પાણીની ટાંકી સુધી પીવાનું પાણી ભરવા જવું પડે છે. આ ઉપરાંત અટલાદરા તળાવ પણ ગંદકીથી ખદબદી રહ્યું છે. તો વડોદરા શહેરમાં નવા ભળેલા બિલ ગામમાં રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ લોકોને મળી નથી. તો પરશુરામ ભઠ્ઠામાં પણ અનેક સમસ્યાઓ છે, અહીં ખુલ્લી કાંસમાં ગટરના ગંદા પાણી છોડાઈ રહ્યા છે. જેના કારણે લોકો દુર્ગંધ અને બીમારીઓથી પરેશાન છે. 'કોઈનું વાહન જરા પણ ફંટાય તો અકસ્માત નક્કી છે'ભાવિકાબેને કહ્યું કે, તમે પોતે જ જુઓ, આ ખાડો લગભગ 15 ફૂટ ઊંડો છે. જો કોઈનું વાહન જરા પણ ફંટાય તો અકસ્માત નક્કી છે અને જો કોઈ માણસ એમાં પડે તો તે જીવતો બહાર આવે તેવી કોઈ શક્યતા નથી. આ ખાડાને કારણે રસ્તો એટલો સાંકડો થઈ ગયો છે કે બે ગાડીઓ એકસાથે પસાર થઈ શકતી નથી. 'રસ્તાઓ એટલા ખરાબ છે કે ઘરે આવતા પહેલા પણ વિચાર કરવો પડે છે'અટલાદરા વિસ્તારમાં આવેલ પ્રમુખસ્વામી કુટીર સોસાયટીના રહીશ દીપકભાઈ બારિયાએ જણાવ્યું હતું કે, અહીં સમસ્યાઓની તો કોઈ કમી જ નથી. સૌથી મોટી તકલીફ રોડ રસ્તાની છે. રસ્તાઓ એટલી ખરાબ હાલતમાં છે કે ઘરે આવતા પહેલા પણ વિચાર કરવો પડે છે. છેલ્લા 4થી 5 વર્ષથી રસ્તાઓની આ જ હાલત છે. છેલ્લા એક વર્ષથી તો અમારે ઘરે આવવા માટે રસ્તો પણ બદલવો પડે છે. રોડનું નામનિશાન રહ્યું નથી, માત્ર પૂરણ કામ કરીને છોડી દેવાયું છે. 'ભાજપ સરકારમાં નેતાઓ ક્યાં ગાયબ છે'તેને વધુમાં કહ્યું કે, અમને તો એ જ ખબર નથી કે અમારા નેતા કોણ છે. આજ દિન સુધી કોઈના દર્શન થયા નથી. ભાજપ સરકારમાં નેતાઓ ક્યાં ગાયબ છે એ વિચારવા જેવી વાત છે. પાણી, ગટર અને રસ્તા બધી જ બાબતે અમે હેરાન થઈ રહ્યા છીએ. 'રસ્તાઓ ખોદી નાખવામાં આવે છે, પણ યોગ્ય પૂરતાં નથી'અટલાદરા વિસ્તારમાં આવેલ પ્રમુખસ્વામી કુટીર સોસાયટીના રહીશ મનીષભાઈ તડવીએ જણાવ્યું હતું કે, અહીં રસ્તાની સાથે અહીં સ્ટ્રીટ લાઈટ અને સાફ-સફાઈની પણ ગંભીર સમસ્યા છે. ગટરના કામ માટે રસ્તાઓ ખોદી નાખવામાં આવે છે પણ પછી તેને યોગ્ય રીતે પૂરવામાં આવતા નથી. થોડું કાર્પેટ કામ કરીને રસ્તો અડધો જ ખુલ્લો મૂકાય છે. 'ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય છે'તડવીએ વધુમાં કહ્યું કે, આ અંગે અમે ઘણીવાર રજૂઆત કરી છે. કોર્પોરેટર કહે છે કે કામ મંજૂર થઈ ગયું છે, પણ એક વર્ષ વીતી જવા છતાં પરિસ્થિતિ તેવી જ છે. હવે ફરી ચૂંટણી આવશે ત્યારે જ કદાચ તેઓ દેખાશે. ચોમાસામાં તો અહીં ખૂબ ગંદકી રહે છે. રસ્તાઓ સંપૂર્ણપણે બંધ હાલતમાં જ હોય છે. સફાઈ કામદારો પણ પૂરતા પ્રમાણમાં આવતા નથી, ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય છે. 'વડોદરામાં મગર કરતાં પણ મોટા 'ઉંદરો' છે, જે બધું ખાઈ-ખબોચીને મોટા થયા છે'સ્થાનિક અગ્રણી ભાવિકાબેને જણાવ્યું હતું કે, આજે 'વિશ્વ ઉંદર દિવસ' નિમિત્તે આવા ભ્રષ્ટ લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આ લોકો એવા છે જે ચૂંટાઈને તો આવ્યા પણ કામના નામે કશું જ કર્યું નથી. રસ્તાઓ પર ઠેર-ઠેર ખાડા ખોદીને મૂકી દીધા છે, ગટરોના ઢાંકણા નથી અને લોકોને શુદ્ધ હવા પણ આપી શકતા નથી. 'લોકોએ પીવાના પાણી માટે 2 કિમી લાઈનો લગાવવી પડે છે'તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ 'વિકસિત ગુજરાત' અને 'વિકસિત વડોદરા'માં લોકોએ પીવાના પાણી માટે 2 કિલોમીટર દૂર સુધી લાઈનો લગાવવી પડે છે. સરકાર વિકાસના ગીતો ગાય છે પણ વાસ્તવમાં તે ઊંઘતી ઝડપાય છે. તેમને માત્ર ચૂંટણી સમયે જ મત માંગવા માટે લોકોની યાદ આવે છે, બાકી સ્થાનિક સમસ્યાઓના ઉકેલમાં તેઓ શૂન્ય છે. 'વર્ષો વીતી ગયા પણ હજુ સુધી પીવાનું પાણી મળ્યું નથી'માધવનગરના સ્થાનિક સન્નીભાઈએ જણાવ્યું હતું કે, અમે અહીં છેલ્લા પાંચ વર્ષથી રહીએ છીએ. અહીં પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા નથી. ફક્ત વાપરવાનું પાણી મળે છે, પણ પીવા માટે અમારે ઘરથી દૂર સુધી જવું પડે છે. વરસાદમાં તો રસ્તામાં ખાડા અને પાણી ભરાયેલા હોય છે, છતાં તેમાંથી પસાર થઈને અમારે પાણી લેવા જવું પડે છે. વર્ષો વીતી ગયા પણ હજુ સુધી પીવાનું પાણી મળ્યું નથી. 'મકાન તો આપી દીધા પણ પીવાનું પાણી હજુ સુધી મળ્યું નથી'તેને વધુમાં જણાવ્યું હતું કે, મુશ્કેલી તો ઘણી જ છે. ચોમાસામાં હાલત વધારે ખરાબ થઈ જાય છે. વૃદ્ધોને પાણી ભરવા માટે ચાલતા આવવું પડે છે, નાના બાળકોને ઘરે એકલા મૂકીને પાણી ભરવા જવું પડે છે. આ બધું ખૂબ જ હાલાકીભર્યું છે. અમે પ્રધાનમંત્રી આવાસ યોજનાના 'માધવનગર'માં રહીએ છીએ. અહીં અંદાજે 25 જેટલા ટાવર છે. જેમાં અમુક 7 માળના છે અને અમુક 8 માળના બિલ્ડિંગ્સ છે. મકાન તો આપી દીધા પણ પાયાની સુવિધામાં પીવાનું પાણી હજુ સુધી મળ્યું નથી. 'ખાડો 10થી 12 ફૂટ ઊંડો છે અને 3 મહિનાથી આ જ હાલતમાં છે'સ્થાનિક રત્નેશ સિંગે જણાવ્યું હતું કે, મારે એ જ કહેવું છે કે છેલ્લા 2 વર્ષથી આ રસ્તો બિસ્માર છે. જે પાછળ ખાડો દેખાય છે, તેને લોકો રિપેરિંગ કરીને જાય છે અને 10 જ દિવસમાં ફરી એ જ પરિસ્થિતિ થઈ જાય છે. 'એક છોકરો સીધો આ ખાડામાં ખાબક્યો હતો'તેને વધુમાં જણાવ્યું હતું કે, ચોક્કસ, અહીં જોખમ તો છે જ. હજુ બે દિવસ પહેલા જ રાત્રે લગભગ દોઢ વાગ્યે એક છોકરો જે બહારથી આવ્યો હતો, તેને અંદાજ ન આવ્યો અને તે સીધો આ ખાડામાં ખાબક્યો. તે લોહીલુહાણ થઈ ગયો હતો અને બેભાન જેવી હાલતમાં અહીંથી તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. છતાં છેલ્લા 5 વર્ષથી કોઈ નેતા દેખાતા નથી. 'અમારા વિસ્તારમાં કંઈ કર્યું જ નથી, માત્ર ખાડા જ ખોદ્યા છે'વોર્ડ નંબર 12ના કોંગ્રેસના પ્રમુખ રાકેશ ઠાકોરે જણાવ્યું હતું કે, અમારા વોર્ડ નંબર 12માં સમસ્યાઓની એટલી ભરમાર છે કે, કોઈ પણ વસ્તુ બાકી નથી રહી. ભાજપ શાસિત કોર્પોરેટરો અને વડોદરા પ્રશાસને અમારા વિસ્તારમાં કંઈ જ કર્યું નથી, માત્ર ખાડા જ ખોદ્યા છે. એક સમયે સયાજીરાવ ગાયકવાડનું સુંદર વડોદરા હતું, જેને આ લોકોએ ખોદી કાઢ્યું છે. અટલાદરા વિસ્તારમાં પણ ખાડા જ ખાડા છે. અટલાદરા હેલ્થ સેન્ટરમાં રોજ દર્દીઓની ભીડ વધતી જાય છે. જેટલા હેલ્થ સેન્ટર બને છે તેમાં ભીડ વધે છે એનો અર્થ એ કે લોકોમાં બીમારી વધી રહી છે. ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. તલાટી ઓફિસની બાજુમાં જ ગંદકીના ઢગલારાકેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, અમારી અટલાદરા તલાટી ઓફિસની બાજુમાં જ ગંદકીના ઢગલા જોવા મળશે. ગામડાની તલાટી ઓફિસમાં ચોખ્ખાઈ હોય છે, પણ કોર્પોરેશન હેઠળ આવતી આ ઓફિસમાં તમને ગંદકી સિવાય કંઈ નહીં મળે. સમગ્ર વિસ્તારમાં પીવાના પાણીની અને ગટરની મોટી સમસ્યા છે. ઠેર-ઠેર ગટરો ઉભરાય છે અને ભૂવા પડેલા છે. 'હિંમત હોય તો પક્ષના સિમ્બોલ વગર પોતાના કામ પર વોટ માંગીને બતાવે'ઠાકોરે કહ્યું, ભાજપના નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ વોટ માંગવા આવે છે. 5 વર્ષ પૂરા થશે એટલે મોદીજીના નામે અને પક્ષના સિમ્બોલ પર વોટ માંગશે. જો હિંમત હોય તો પક્ષના સિમ્બોલ વગર પોતાના કામ પર વોટ માંગીને બતાવે, ત્યારે ખબર પડશે કે જનતા કેટલી ત્રાહિમામ છે. આ વખતે વોર્ડ નંબર 12ની જનતા પરિવર્તન માંગી રહી છે. 'આ લોકોએ માત્ર પોતાના ખિસ્સા જ ભર્યા છે'તેને વધુમાં કહ્યું કે, છેલ્લા 30 વર્ષના શાસનમાં આ લોકોએ માત્ર વાતો જ કરી છે, કંઈ કામ નથી કર્યું. રોડના કોઈ ઠેકાણા નથી. એક સોસાયટીના રહીશો તો છેલ્લા બે વર્ષથી રોડ માટે રજૂઆત કરે છે, પણ અધિકારીઓ કે નેતાઓ કંઈ સાંભળતા જ નથી. એવું લાગે છે કે આ લોકોએ માત્ર પોતાના ખિસ્સા જ ભર્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:00 am

‘સંસ્કાર સંગમ’ કાર્યક્રમમાં ડાન્સ, મસ્તી અને મોજમજા:ABVPના પ્રમુખે ચોખવટ કરવી પડી; ટેકેદારો ચૂપ થઈ જતા રાજુ કરપડા બોલ્યા, ‘સૂત્રોચ્ચાર ચાલુ રાખજો’

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:00 am

42 વર્ષ પહેલાં સિયાચિનમાં પાકિસ્તાનને મળી હતી મ્હાત:આજના દિવસે ભારતનું ઓપરેશન મેઘદૂત સફળ રહ્યું હતું; અમદાવાદના કેપ્ટન નિલેશ સોની થયા હતા શહીદ

29 મે, 1984: સિયાચીન ગ્લેશિયર. વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર. ઓપરેશન મેઘદૂત પર કબજો કરવા માટે સેનાના 20 સૈનિકો પેટ્રોલિંગ પર નીકળ્યા હતા પરંતુ રસ્તામાં હિમપ્રપાતનો ભોગ બન્યા હતા. થોડા દિવસોમાં 15 સૈનિકોના મૃતદેહ મળી આવ્યા હતા, પરંતુ 5 જવાનોનો અતોપતો મળ્યો નહીં. 15 ઓગસ્ટ, 2022 : ભારતીય સેનાએ 42 વર્ષ પહેલાં ઓપરેશન મેઘદૂત દરમિયાન સિયાચીનમાં ગુમ થયેલા સૈનિકોમાંના એક લાન્સ નાયક ચંદ્રશેખર હરબોલનો મૃતદેહ શોધી કાઢ્યો. દર વર્ષે 13 એપ્રિલ આવે ને ઓપેરશન મેઘદૂત યાદ આવે. આજની પેઢી ઓપરેશન સિંદૂરથી પરિચિત હશે પણ ઓપરેશન મેઘદૂત બહુ કઠીન અને દુર્ગમ ઓપરેશન હતું. આજે ઓપરેશન મેઘદૂતની વાત કરીએ. 1984માં ભારતીય ગુપ્તચર એજન્સી RAW ને માહિતી મળી હતી કે પાકિસ્તાન સિયાચીન પર કબજો કરવાની યોજના બનાવી રહ્યું છે. આ માટે તે બર્ફીલા પ્રદેશમાં તૈનાત તેના સૈનિકો માટે જર્મની પાસેથી મોટી માત્રામાં કપડાં અને લશ્કરી સાધનો ખરીદી રહ્યું હતું. પાકિસ્તાને 17 એપ્રિલ, 1984 સુધીમાં ઓપરેશન અબાબિલ દ્વારા સિયાચીન પર કબજો કરવાની યોજના બનાવી હતી. આ માહિતી મળતાં તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ સેનાને સિયાચિન પર કબજો કરવાનો અધિકાર આપ્યો. માર્ચ 1984માં કુમાઉ રેજિમેન્ટની એક બટાલિયન અને લદ્દાખ સ્કાઉટ્સના યુનિટ, લેફ્ટનન્ટ કર્નલ ડી.કે. ખન્નાના નેતૃત્વમાં બરફથી ઢંકાયેલા ઝોજિલા પાસ થઈને સિયાચિન માટે પગપાળા રવાના થયા. ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાની રડારથી બચવા માટે પગપાળા મુસાફરી કરી. આ પછી ભારતે 10 એપ્રિલથી 30 એપ્રિલ, 1984 દરમિયાન લેફ્ટનન્ટ જનરલ પ્રેમનાથ હૂનના નેતૃત્વમાં ઓપરેશન મેઘદૂતનું આયોજન કર્યું. બ્રિગેડિયર વિજય ચન્નાને સિયાચીનમાં સાલ્ટારો રિજ પર કબજો કરવાની જવાબદારી સોંપવામાં આવી. ચન્નાએ 13 એપ્રિલની તારીખ પસંદ કરી કારણ કે તે વૈશાખીનો તહેવાર હતો અને પાકિસ્તાની સેનાને કલ્પના પણ નહોતી કે આ તહેવારના દિવસે ભારત લશ્કરી કાર્યવાહી કરશે. પ્રથમ ચિત્તા હેલિકોપ્ટર 13 એપ્રિલના રોજ સવારે 5.30 વાગ્યે બેઝ કેમ્પથી કેપ્ટન સંજય કુલકર્ણી અને એક સૈનિકને લઈને ઉડાન ભરી હતી. બપોર સુધીમાં 29થી વધુ સૈનિકોને લઈને 17 વધુ હેલિકોપ્ટર બિલાફોંડ લા પાસ પર ઉતર્યા. ખરાબ હવામાનને કારણે સૈનિકોનો હેડક્વાર્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો. ચાર દિવસ પછી 17 એપ્રિલના રોજ પાંચ ચિત્તા અને બે MI-8 હેલિકોપ્ટરે સિયા લા પાસ પર રેકોર્ડ 32 ઉડાન ભરી ત્યારે સંપર્ક પુનઃસ્થાપિત થયો. તે જ દિવસે એક પાકિસ્તાની હેલિકોપ્ટર ગ્લેશિયર ઉપરથી ઉડાન ભરી અને ત્યાં પહેલાથી જ તૈનાત ભારતીય સૈનિકોને જોયા. આમ ચાર દિવસમાં ઓપરેશન મેઘદૂત દ્વારા, ભારતીય સેનાએ લગભગ 3,000 ચોરસ કિલોમીટરનો પ્રદેશ કબજે કર્યો. જેમાં બે મુખ્ય સિયાચિન પાસનો સમાવેશ થાય છે: સિયા લા અને બિલાફોંડ લા. આ ઓપરેશનમાં આશરે 300 ભારતીય સૈનિકોએ ભાગ લીધો હતો; ઓપરેશનમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા જાણી શકાઈ નથી. સિયાચિન ગ્લેશિયર કબજે કર્યા પછી ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એમએલ છિબ્બરે એક સત્તાવાર નોંધમાં લખ્યું, સિયાચિનમાં બે મુખ્ય પાસ કબજે કરવામાં આવ્યા છે. દુશ્મનને ઝટકો આપ્યો અને હવે પાકિસ્તાન અને યુએસ નકશામાં ગેરકાયદેસર રીતે પીઓકે તરીકે દર્શાવવામાં આવેલા આશરે 3,300 ચોરસ કિલોમીટર જમીન પર આપણો કંટ્રોલ છે. 29 મે, 1984 ના રોજ ઓપરેશન મેઘદૂત હેઠળ કુમાઉ રેજિમેન્ટના 20 સૈનિકો, ચંદ્રશેખર સહિત જેઓ સિયાચિનમાં એક હાઈએસ્ટ પોઇન્ટ 5965 કબજે કરવાના મિશનમાં સામેલ હતા, પણ હિમપ્રપાતને કારણે ગુમ થઈ ગયા. 1987માં ભારતે ઓપરેશન રાજીવ મારફત પાકિસ્તાન પાસેથી બીજી સિયાચિન પોસ્ટ કબજે કરી આગામી ત્રણ વર્ષોમાં પાકિસ્તાની સેનાએ સિયાચિનના સૌથી ઊંચા સ્થાને કાયદ-એ-આઝમ પોસ્ટ બનાવી. આ પોસ્ટ પરથી પાકિસ્તાની સેના ભારતીય સેનાની દરેક ગતિવિધિ પર નજર રાખતી હતી. 25 જૂન, 1987ના રોજ ભારતે ઓપરેશન રાજીવ દરમિયાન પાકિસ્તાની સેના પાસેથી કાયદ-એ-આઝમ પોસ્ટ પાછી મેળવી લીધી. આ યુદ્ધમાં તેમની બહાદુરી બદલ સુબેદાર બાના સિંહને પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો અને તેમના માનમાં આ પોસ્ટનું નામ બાના પોસ્ટ રાખવામાં આવ્યું હતું. ત્યારથી ભારતે સમગ્ર સિયાચીન ગ્લેશિયર પર કંટ્રોલ મેળવ્યો. બંને બાજુના હજારો સૈનિકો હજુ પણ સિયાચિન ગ્લેશિયરની આસપાસ તૈનાત છે. ઓપરેશન મેઘદૂત દરમિયાન અમદાવાદના કેપ્ટન નિલેશ સોની શહીદ થયા હતા અમદાવાદના સોની પરિવારમાં જન્મેલા નિલેશ સોની દેશપ્રેમને કારણે આર્મીમાં જોડાયા. 9મી જૂન 1984ના રોજ તેમને આર્ટિલરીની 62 ફિલ્ડ રેજિમેન્ટમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નાશિકમાં દેવલાલી ખાતે એક વર્ષની સેવા પૂરી કર્યા પછી તેમને લેફ્ટનન્ટ તરીકે બઢતી આપવામાં આવી અને પછીથી તેમનું યુનિટ સાથે કારગિલ વિસ્તારમાં સ્થળાંતર થયું. કેપ્ટન નિલેશ સોનીને ડિસેમ્બર 1986માં સિયાચીન ગ્લેશિયરમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું. 1987ની શરૂઆતમાં તેઓ પ્રતિકૂળ હવામાન વચ્ચે સિયાચીન ગ્લેશિયરમાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે કેપ્ટન નિલેશ સોની અને તેમના સૈનિકોને દુશ્મન તરફથી અવારનવાર ગોળીબારનો સામનો કરવો પડતો હતો. 12મી ફેબ્રુઆરી, 1987ની મધ્યરાત્રિની આસપાસ કેપ્ટન નિલેશ અને તેના સૈનિકોને તેમના નિયંત્રણ હેઠળના વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ દેખાઈ અને યુદ્ધ થયું. ભારે તોપમારાથી હિમપ્રપાત થયો, જે ભારતીય દળો માટે ખૂબ જ ઘાતક સાબિત થયો. કેપ્ટન નિલેશ સોની બરફની ભેખડ નીચે દબાઈ ગયા અને 12 ફ્રેબ્રુઆરી 1987ના દિવસે શહીદ થયા.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:00 am

ઉમરેઠમાં પેટાચૂંટણી લડતી અજાણી પાર્ટીને 923 કરોડનું ફંડિંગ:12 વર્ષમાં અબજોપતિ બનેલી BNJDના ઉમેદવાર મોપેડ લઈને ફરે છે, 2017માં પાર્ટી સ્થાપકને મળ્યા હતા 322 મત

9230000000 એટલે કે 923 કરોડ રૂપિયા… કોઈ આવે અને આટલા રૂપિયા આપી જાય… એ પણ દાનમાં… તો શું સમજવું? વાત જાણે એમ છે કે આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગોવિંદ પરમાર મૃત્યુ પામ્યા એટલે પેટાચૂંટણી આવી. ભાજપે એમના જ દીકરા હર્ષદ પરમારને ટિકિટ આપી છે, કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર જાહેર કર્યા. પરંતુ આ ચૂંટણીમાં સાવ અજાણી રાજકીય પાર્ટીના ઉમેદવારે ફોર્મ ભર્યું, પાર્ટીનું નામ છે ભારતીય નેશનલ જનતા દળ. જેનું ચૂંટણી ચિન્હ ખભે હળ મૂકીને ઉભેલો ખેડૂત છે. જેને અબજો રૂપિયાનું દાન મળ્યું છે. ખૂબ ઓછા લોકોએ આ પાર્ટીનું નામ સાંભળ્યું હશે. એટલે ભારતીય નેશનલ જનતા દળ કોની પાર્ટી છે? પાર્ટીની ઓફિસ ક્યાં છે? અગાઉની ચૂંટણીમાં કેવું પરફોર્મન્સ હતું? અને ઉમરેઠની પેટા ચૂંટણીમાં ઉમેદવાર ઉભા રાખવા પાછળની રણનીતિ શું છે? આ સવાલોના જવાબ મેળવવા માટે દિવ્ય ભાસ્કરે પાર્ટીના પ્રમુખ તેમજ ઉમરેઠના ઉમેદવાર સાથે મુલાકાત કરી ગ્રાઉન્ડ રિયાલિટી જાણી. એટલું જ નહીં, ચૂંટણીપંચમાં પાર્ટીએ જમા કરાવેલા ડોક્યુમેન્ટ ચકાસ્યા. લગભગ એક અઠવાડિયાની તપાસમાં જેમ-જેમ આગળ વધતા ગયા એમ-એમ કોઈપણ સામાન્ય માણસના ભવાં ઊંચા થઈ જાય એવી રાજકીય કુંડળી બહાર આવી. સૌથી પહેલાં અમે ભારતીય નેશનલ જનતા દળની ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચ્યા. ત્યાંથી જાણકારી મળી કે આ પાર્ટીના સંસ્થાપક વી.એમ.ગજેરા હતા. હાલમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્રકુમાર ગજેરા છે. વેબસાઇટના હોમપેજ પર જ રાષ્ટ્રીય અધ્યક્ષનો એક મેસેજ હતો. આ સિવાય કોઈ ખાસ માહિતી ન દેખાઈ. વેબસાઇટના અન્ય સેક્શનમાં પણ ઘણી બધી માહિતી અસ્પષ્ટ હતી. એટલે અહીંથી મનમાં સવાલો ઉઠવાની શરૂઆત થઈ. પાર્ટીની વેબસાઇટ પર છેલ્લું સેક્શન Contact Us/Donation નામથી હતું. ત્યાં ક્લિક કરતા જ ગાંધીનગરમાં આવેલા આ પાર્ટીના મુખ્ય કાર્યાલયનું સરનામું મળ્યું. સાથે જ આ પાર્ટીને ડોનેશન કેવી રીતે આપી શકાય? એની સંપૂર્ણ માહિતી ડિટેલમાં લખી હતી. કોઈપણ રાજકીય પક્ષને કેટલા રૂપિયા દાન પેટે મળ્યા તેની જાણકારી પક્ષે પોતે જ ચૂંટણીપંચને આપવાની હોય છે. હવે અમે તપાસમાં ઊંડા ઉતર્યા અને ગુજરાત ચૂંટણીપંચની વેબસાઇટ પર પહોંચ્યા. એ જાણવા માટે કે ભારતીય નેશનલ જનતા દળને કયા વર્ષમાં કેટલું દાન મળ્યું છે અને આપનારા લોકોની સંખ્યા કેટલી? અમે 2013-14થી માંડીને 2023-24 સુધી ભારતીય નેશનલ જનતા દળને મળેલા દાનના આંકડા કાઢ્યા. ગુજરાત ચૂંટણીપંચની વેબસાઇટ પરથી મળેલો ડેટા સામાન્ય માણસ જ નહીં, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા પક્ષને પણ અચરજ પમાડે એવો છે. આમ, માત્ર એક જ દસકામાં સાવ ઓછી ચર્ચિત પાર્ટી ભારતીય નેશનલ જનતા દળને અધધ 923 કરોડ રૂપિયાથી પણ વધુનું દાન મળ્યું છે. આ દાન આપનારા લોકોમાં મોટાભાગના ગુજરાતના છે. લોકોએ 20 હજારથી માંડીને લાખો રૂપિયા એક ઝાટકે આ પાર્ટીને દાનમાં આપી દીધા. પાર્ટીને મળેલા દાન અને ચૂંટણીવર્ષ સાથે જબરું કનેક્શન!જ્યારે અમે આ ડેટાનું વિશ્લેષણ કર્યું તો ધ્યાને આવ્યું કે 2013-14થી માંડીને 2017-18 સુધી એમ 5 વર્ષમાં માત્ર 21 હજાર રૂપિયાનું જ દાન મળ્યું હતું. અમુર વર્ષમાં તો એકપ રૂપિયાનું દાન નથી મળ્યું. આ જાણકારી ખુદ ભારતીય નેશનલ જનતા દળે ચૂંટણીપંચને આપેલી છે. 21 હજાર રૂપિયા પક્ષને એ વર્ષે મળ્યા હતા જ્યારે લોકસભાની ચૂંટણી હતી. ત્યાર પછીના વર્ષે તો પાર્ટીએ ડોનેશનની રકમની જાણકારી જ ચૂંટણીપંચને આપી નથી. કોવિડ પછી પાર્ટીને મળતા દાનમાં બમ્પર ઉછાળો આવ્યો2018-19માં અચાનક આ પાર્ટીને 4 કરોડ 18 લાખ રૂપિયાનું દાન મળ્યું. ત્યાર પછીના બે વર્ષે 20 લાખ અને 35 લાખ મળ્યા. પરંતુ 2021-22માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે 188 કરોડ અને ત્યાર બાદ 2022-23માં વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે રેકોર્ડ બ્રેક 540 કરોડ રૂપિયાનું દાન મળ્યું. આ પછીના વર્ષે પણ દાનનો ધોધ રોકાયો નહીં, 2023-24માં આ ભારતીય નેશનલ જનતા દળને 190.5 કરોડ રૂપિયા દાન પેટે મળ્યા હોવાનું પાર્ટી પોતે જ ઓનપેપર કબૂલે છે. આવક સામે ખર્ચ કેટલો કર્યો? પાર્ટીએ સ્પષ્ટ વિગતો નથી આપીગુજરાત ચૂંટણીપંચના જ ડેટા પ્રમાણે અબજોપતિ પાર્ટીએ 2022ની ચૂંટણીમાં માત્ર 95 હજાર રૂપિયાનો ખર્ચ બતાવ્યો હતો. જ્યારે 2017માં તો કોઈ ખર્ચ જ નથી. હવે સવાલ એ છે કે, જો આ પાર્ટી ચૂંટણી લડવામાં ખર્ચ નથી કરતી તો ખર્ચ કરે છે ક્યાં? અથવા તો તેની જાણકારી ચૂંટણીપંચના જાહેર પ્લેટફોર્મ પર કેમ નથી? લોકો પાસેથી દાન લેનારી અબજોપતિ પાર્ટીનું મુખ્ય હેડક્વાર્ટર દિલ્હીમાં નહીં ગાંધીનગરમાં હોવાની જાણકારી તેની વેબસાઇટ પર જ હતી. પોતે ઉમરેઠની પેટાચૂંટણીમાં ઉમેદવાર પણ ઉભા રાખ્યા છે. એટલે ગાંધીનગરમાં આવેલા પાર્ટી હેડક્વાર્ટરની સ્થિતિ કેવી છે? ત્યાં કેવો ધમધમાટ છે? એ જાણવા અમે ગાંધીનગરના સરનામે પહોંચ્યા. ગાંધીનગરના સેક્ટર 11માં આવેલા મેઘમહ્લાર કોમ્પ્લેક્સના 7મા માળે 701/1માં પાર્ટીની ઓફિસ હોવાની માહિતી હતી. પરંતુ અમે ત્યાં પહોંચ્યા તો કંઈક જ હકીકત સામે આવી. એક જ સરનામે કંપની અને પાર્ટીની ઓફિસ!અમે જોયું કે ઓફિસની બહાર એક જ ઓફિસમાં બે બોર્ડ મારેલા હતા. એક હતું શક્તિ એન્ટરપ્રાઇઝ અને બીજું હતું ભારતીય નેશનલ જનતા દળ. ઓફિસની બહાર માત્ર બે-ત્રણ લોકોના ચપ્પલ પડ્યા હતા. એટલે પહેલી નજરે એવું લાગ્યું કે શક્તિ એન્ટરપ્રાઇઝની ઓફિસમાં જ આ પાર્ટીની ઓફિસ ચલાવવામાં આવતી હશે. અમારી ઉત્સુકતા વધી ગઈ! અમે ઓફિસમાં પ્રવેશ્યા તો પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્રકુમાર ગજેરા મળ્યા. તેમણે આપેલી જાણકારી પ્રમાણે શક્તિ એન્ટરપ્રાઇઝ એમની જ કંપની છે અને ચૂંટણી પ્રચારને લગતું મટિરિયલ જેમ કે ખેસ, ટોપી વગેરે બનાવે છે. સુરેન્દ્રકુમાર ગજેરાના દાવા પ્રમાણે તેઓ પોતે પણ 2012માં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડ્યા હતા પણ જીતી નહોતા શક્યા. એટલું જ નહીં, કેરળ વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમણે પાંચેક સીટ પર ઉમેદવાર ઉતાર્યા હોવાનું અને મુલાકાત થઈ એના આગલા દિવસે જ કેરળ જઈને આવ્યા છે, એમ કહ્યું. રાષ્ટ્રીય અધ્યક્ષના દાવામાં કેટલો દમ છે એ જાણવા BNJDએ અત્યાર સુધીમાં ક્યાં, કેટલા ઉમેદવાર ઉભા રાખ્યા અને તેમને કેટલા મત મળ્યા એ શોધી કાઢ્યું. આ હકીકતે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું. અબજોપતિ પાર્ટીએ ન જાણે કેમ 2024ની લોકસભા ચૂંટણી સમયે ભારતીય નેશનલ જનતા દળે દેશની 543 સીટ પરથી માત્ર ત્રણ પર જ પોતાના ઉમેદવાર ઉતાર્યા. ત્રણમાંથી બે સીટ પશ્ચિમ બંગાળની અને એક સીટ ગુજરાતની હતી. જુઓ કોને-કેટલા મત મળ્યા અને અન્ય ઉમેદવારોની તુલનામાં તેઓ કયા ક્રમે આવ્યા. 2022ની ચૂંટણીમાં પણ ધબડકો2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય નેશનલ જનતા દળે રાજ્યની કુલ 182 બેઠકમાંથી માત્ર 5 જ બેઠક પર ઉમેદવારો ઉભા કર્યા હતા. એમનું પર્ફોર્મન્સ કેવું રહ્યું એ પણ અમે ચકાસ્યું. ગરબાડા એકમાત્ર બેઠક એવી હતી જ્યાં 2130 મત મળ્યા બાકીની ચાર સીટમાંથી એક પર પણ 500થી વધુ મત મળ્યા નહોતા. ઉમરેઠથી ચૂંટણી લડી રહેલા મૌલિક શાહને 2022માં 210 મત મળ્યા હતાઉમરેઠ બેઠક પરથી અત્યારે પેટાચૂંટણી લડી રહ્યા છે એ ઉમેદવાર મૌલિક શાહ હાલમાં આણંદના જિલ્લા પ્રમુખ છે. તેઓ આણંદ સીટ પરથી 2022માં ચૂંટણી લડ્યા હતા, જાણીને આશ્ચર્ય થશે કે મૌલિક શાહને માત્ર 210 મત મળ્યા હતા. ચૂંટણીમાં કુલ 15 ઉમેદવારો ઉતર્યા હતા એમાં મત મેળવવામાં મૌલિક શાહનો 11નો ક્રમ હતો. 2017ની ચૂંટણીમાં BNJD ઊંધા માથે પટકાઈ હતી2022ની ચૂંટણીમાં ભારતીય નેશનલ જનતા દળની ભૂમિકા સવાલો ઉપજાવનારી હતી. એટલે અમે વધું ઊંડાણથી તપાસ કરી અને 2017ની વિધાનસભા ચૂંટણીનો ડેટા કાઢ્યો. એ સમયે પણ પાર્ટીએ માત્ર 5 સીટ પર ઉમેદવાર ઉતાર્યા હતા. એમાંય અમરેલીની સીટ પરથી તો પાર્ટીના સંસ્થાપક વી.એમ.ગજેરા ચૂંટણી મેદાને હતા. આશ્ચર્યની વાત છે કે તેમને માત્ર 322 જ મત મળ્યા હતા. 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભારતીય નેશનલ જનતા દળે નામ માત્ર ચાર બેઠક પર ઉમેદવાર ઉતાર્યા. તમામની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ હતી. 2012થી માંડીને 2024 સુધીની વિધાનસભા, લોકસભાની ચૂંટણીઓમાં એક માત્ર ઉમેદવાર એવા દેખાયા જે સતત આ પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા. નામ જગદીશ મેડા. માંડ બે-અઢી હજાર મત મળે પણ જગદીશભાઈ ચૂંટણી લડવાની હિંમત ભેગી કરી જ લે છે! આ તો થઈ ભૂતકાળની વાતો… મોટાભાગની ચૂંટણીમાં ડિપોઝિટ ગૂમાવતી આ પાર્ટી ઉમરેઠની પેટાચૂંટણીમાં કેવી રીતે પ્રચાર કરે છે, ઉમેદવાર મૌલિક શાહનું શું કહેવું છે, આ ચૂંટણીમાં ભાગ લેવા પાછળનું સચોટ કારણ શું છે? એ જાણવા માટે અમે ઉમરેઠ પહોંચ્યા. અબજોપતિ પાર્ટીના ઉમેદવાર મૌલિક શાહ ભરબપોરે 30 કિલોમીટર દૂર આણંદથી એક્ટિવા લઇને ઉમરેઠ આવ્યા. ન તો સાથે કોઈ કાર્યકતા... ના કોઈ સમર્થક. આ સ્થિતિ ઘણા સવાલો ઉભા કરી રહી હતી. તેમણે જણાવ્યું, 2015થી હું ભારતીય નેશનલ જનતા દળમાં આણંદ જિલ્લાનો પ્રમુખ છું. આણંદમાં આવતા છ-સાત તાલુકાઓનું હેન્ડલીંગ હું કરું છું. મૌલિક શાહ 2015માં આણંદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 12ની ચૂંટણી લડ્યા હતા. એ પછી 2022માં તેઓ આણંદની વિધાનસભા ચૂંટણી લડ્યા અને હવે ઉમરેઠથી વિધાનસભાની પેટાચૂંટણી લડી રહ્યા છે. અગાઉની બન્ને ચૂંટણીમાં મૌલિક શાહ હાર્યા છે. તેમણે કહ્યું, દરેક ચૂંટણીમાં મને નવો અનુભવ થયો છે. નવા-નવા લોકોનો સાથ મળે, વિચારો મળે એ રીતે મારો બેઝ વધતો જાય છે. ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં ખેડૂતો વધારે છે એટલે હું ઉમરેઠમાં ખેડૂતોના પ્રશ્નો ઉઠાવીશ. અમારી ટીમ છે. જે રીતે રૂટ નક્કી થશે એ પ્રમાણે રેલી કે સભા ગોઠવીશું. ઉમરેઠના 40થી 50 ગામડાઓમાં મારા અંગત સંબંધો છે. એટલે મને ચૂંટણીમાં ફાયદો થશે. જો કે તેમની પાર્ટીને કરોડો રૂપિયાનું ફંડ કોણ અને કેમ આપે છે? એ સવાલનો મૌલિક શાહ પાસે કોઈ જ જવાબ ન હતો. ચૂંટણી એફિડેવિટ પ્રમાણે ઉમરેઠથી પેટાચૂંટણી લડી રહેલા મૌલિક શાહ આણંદમાં 1995થી ન્યૂઝપેપર સપ્લાયર છે. 2026માં તેમણે પોતાની જંગમ મિલકત 1,27,065 રૂપિયા બતાવી છે, જ્યારે 2022માં 2,34 હજાર રૂપિયા હતી. એક વાત નોંધવા જેવી એ પણ છે કે મૌલિક શાહ પાસે કોઈ સ્થાવર મિલકત નથી. પોતાના ફેસબુક એકાઉન્ટ પર ચૂંટણીપ્રચારનો એક ફોટો મૂક્યો નથી, ઉમેદવારી નોંધાવી એનો એક માત્ર ફોટો છે. આ રાજકીય પક્ષને મળેલું અધધ દાન અને ચૂંટણીમાં કંગાળ પાછળનો અસલ ખેલ શું ચાલે છે? એ સમજવા માટે ADRના ગુજરાતના કોઓર્ડિનેટર પંક્તિ જોગને મળ્યા. ADR (એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ)એ એક એવી સંસ્થા છે જે રાજકીય પક્ષો તેમજ નેતાઓની ‘કુંડળી’ બહાર કાઢે છે. ચૂંટણી લડતા ઉમેદવાર પાસે કેટલી મિલકત છે, તેના પર કેટલા કેસ છે અને તે કેટલું ભણેલો છે, તેની સાચી વિગતો તેઓ જનતા સામે લાવે છે. પંક્તિ જોગ કહે છે કે ભારતમાં અન-રેકોગ્નાઈઝ પાર્ટી હજારોની સંખ્યામાં છે. તેમણે 20 હજાર રૂપિયાથી વધારેની કિંમતની મળેલ ડોનેશનનો રિપોર્ટ અને ઓડિટ ચૂંટણી પંચને સમયમર્યાદામાં જમા કરવાનું હોય છે. પરંતુ અમારે ધ્યાને આવ્યું છે કે રાજકીય પક્ષો ઓડિટ રિપોર્ટ સોંપવામાં છ-છ મહિના મોડું કરે છે. અમારા ધ્યાને આવ્યું કે દેશના છ રાષ્ટ્રીય પક્ષોને 2022-23માં 3076 કરોડ રૂપિયાની આવક થઈ હતી. જ્યારે અન-રેકગ્નાઈઝ પાર્ટીની આવક 1581 કરોડ રૂપિયા જોવા મળી તેમજ સ્થાનિક પક્ષોની આવક 1700 કરોડ રૂપિયા હતી. એટલે કે અનરેકોગ્નાઈઝ પાર્ટીઓ રાષ્ટ્રીય પક્ષો કરતા અડધું અને સ્થાનિક પક્ષોની સમકક્ષનું દાન મેળવે છે. રાજકીય પક્ષને દાન આપો એટલે આવકવેરામાં બાદ મળેપંક્તિ જોગે જણાવ્યું, નિયમ છે કે કોઈપણ પાર્ટી ડોનેશન લે તો ઇન્કમ ટેક્સમાંથી બાદ મળે છે. એટલે કે આ રકમનું રાજકીય પક્ષો તેમજ દાન આપનાર બન્નેમાંથી કોઈએ ટેક્સ ચૂકવવો નથી પડતો. આ વાત દાન આપનારને કદાચ સૌથી વધુ આકર્ષિત કરતી હશે અને મોટા પ્રમાણમાં દાન મળતું હોય. જ્યારે આવી પાર્ટીઓ હજારો કરોડોનું દાન મેળવે છે અને ચૂંટણી પણ નથી લડતા છતાં ખર્ચ બતાવે છે, એવા સંજોગોમાં IT સ્ક્રુટીનીમાં આ બાબતો જવી જોઈએ. કંઈ ખોટું જણાય તો તેમની સામે પગલાં પણ લેવા જોઈએ. ચૂંટણી પંચ અનેકવાર આવી અનરિકગ્નાઇઝ પાર્ટીઓનું ડી-લિસ્ટિંગ કરવાની એટલે કે તેમનું ચૂંટણી ચિહ્ન છીનવવાની નોટિસ આપે છે. 1999માં ચૂંટણીપંચે આવી 200 જેટલી પાર્ટીને નોટિસ આપી હતી પરંતુ 150 જેટલી પાર્ટીને નોટિસ મળી પણ નહીં. કારણ કે બતાવેલા એડ્રેસ પર પાર્ટીની ઓફિસ હોતી જ નથી. 2016માં 255 અને 2022માં 537 પાર્ટીનું ચૂંટણીપંચે ડિલિસ્ટિંગ કર્યું. આ મામલે ADRએ માંગ કરી કે ચૂંટણી પંચ માત્ર ડિલિસ્ટિંગ કરીને સંતોષ ન માની લે. તેમને ડિ-રજીસ્ટર કરવાની કોઈ પ્રોસેસ શોધવામાં આવે, જે પાંચ વર્ષની ચૂંટણી નથી લડ્યા એવા પક્ષોની ફરીથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થાય એવા કોઈ પગલા લેવામાં આવે. પંક્તિ જોગ ભારતીય નેશનલ જનતા દળ વિશે વાત કરતા કહે છે કે આ પાર્ટીએ ગુજરાતની છે અને અનરેકગ્નાઈઝ છે. તેને ખૂબ મોટા પ્રમાણમાં દાન મળ્યું છે. જ્યારે કોઈ ચૂંટણી આવે ત્યારે પાર્ટી ઉપર ચૂંટણીમાં ખર્ચ કરવાની લઈ કોઈ મર્યાદા નથી. પરંતુ ઉમેદવાર પર મર્યાદા હોય છે. આ બાબતનો ફાયદો પાર્ટીઓ લેતી હોય છે. આપણે ત્યાં રાજકીય પક્ષો પર નિયંત્રણના બહુ ઓછા નિયમો છે. જેમ કે કોઈ રાજકીય પક્ષ પોતાનો ઓડિટેડ રિપોર્ટ સબમિટ કરે છે, તો ચૂંટણીપંચ માત્ર તેને વેબસાઇટ પર અપલોડ કરે છે. હકીકતમાં તેની સ્ક્રુટિની થવી જોઈએ. અંતમાં અન્ય એક નોંધવા જેવી વાત… સામાન્ય રીતે કોઈપણ રાજકીય પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ત્રણ પ્રકારની પોસ્ટ થતી હોય છે.1- પોતાની પાર્ટીના કાર્યક્રમો અને પ્રચાર2- વિરોધી પક્ષ પર પ્રહારના વીડિયો કે લખાણ3- જન્મતિથિ અને પુણ્યતિથિની પોસ્ટ અમને ભારતીય નેશનલ જનતા દળનું ઇન્ટાગ્રામ કે એક્સ (ટ્વીટર) એકાઉન્ટ ન મળ્યું પરંતુ ફેસબુક પર આ પાર્ટીનું એક ગ્રુપ મળ્યું. 8100 મેમ્બર ધરાવતા આ ગ્રુપમાં ન તો કોઈ રાજકીય કાર્યક્રમની પોસ્ટ હતી, ન તો કોઈ વીડિયો કે લખાણ રૂપે દેશ કે રાજ્યના મુદ્દે પક્ષે પોતાનો મત મૂક્યો હોય. માત્ર દેશના મહાનુભાવોની જન્મતિથિ અને પુણ્યતિથિની ઘણી બધી પોસ્ટ જોવા મળી. બિહારની ચૂંટણીમાં ઉમેદવાર નક્કી કર્યા પણ ચૂંટણી ન લડ્યા?આ ગ્રુપની એક્ટિવિટી ડિટેલમાં જાણવા માટે સ્ક્રોલ ડાઉન કર્યું તો છેક 13 ઓક્ટોબર, 2025ની એક પોસ્ટ મળી. જેમાં કુલ 10 ફોટો અપલોડ કરવામાં આવ્યા હતા અને કેપ્શનમાં હિન્દી ભાષામાં લખ્યું હતું કે “ભારતીય નેશનલ જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ, રાષ્ટ્રીય પદાધિકારી તેમજ બિહાર પ્રદેશના અધ્યક્ષ સાથે બિહાર વિધાનસભાની ચૂંટણી-2025 માટે ઉમેદવારો નક્કી કરવા બેઠક કરી.” વિચારતા કરી દે એવી વાત તો એ છે કે ગયા વર્ષે બિહારમાં 162 રાજકીય પક્ષો વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. અમે આ તમામ પક્ષોના નામ ચકાસ્યા પણ એમાં ભારતીય નેશનલ જનતા દળનું નામ જોવા ન મળ્યું. ============================ જો તમારી પાસે પણ કોઈ જગ્યાએ ચાલતા ભ્રષ્ટાચાર કે ગેરરીતિના પુરાવા છે, કાર્યવાહી નથી થઈ રહી, તેમને કોઈના દ્વારા છાવરવામાં આવી રહ્યા હોય તો દિવ્ય ભાસ્કરને ઇ-મેલના માધ્યમથી પુરાવા સાથે જાણ કરો. dvbbhaskar123@gmail.com

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 6:00 am

મંડે પોઝિટીવ:રાજકોટમાં હવે એક જ છત નીચે 22 સ્પેશિયાલિટી અને 6 સુપર સ્પેશિયાલિટી સાથે ગરીબ પરિવારને મળશે ‘મોંઘી’ સારવાર મફત

સૌરાષ્ટ્રવાસીઓ માટે મેડિકલ હબ બની રહેલી AIIMS રાજકોટે સેવાના તમામ વિક્રમો તોડ્યા છે. અત્યાર સુધીમાં 8.57 લાખથી વધુ દર્દીઓએ અહીં ભરોસો મૂક્યો છે. ખાસ વાત એ છે કે, ઇમર્જન્સીમાં આવતા દર્દીઓને પ્રથમ 24 કલાક સુધી તદ્દન મફત સારવાર આપીને સંસ્થાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 2020થી શરૂ થયેલી આ સફર હવે દર મહિને 180 જેટલી જટિલ સર્જરીઓ સુધી પહોંચી છે. ઓપરેશનમાં ‘ડબલ’ ઉછાળો: 2024માં 861થી વધીને 2025માં 1927 શસ્ત્રક્રિયાઓ થઈAIIMSમાં સર્જિકલ વિભાગે ગજબની ઝડપ પકડી છે. 2024માં જ્યાં 861 સર્જરી થઈ હતી, ત્યાં 2025માં આ આંકડો સીધો 1927 પર પહોંચ્યો છે. વર્ષ 2026ના ફેબ્રુઆરી સુધીમાં જ 360 ઓપરેશન પાર પાડી દેવાયા છે. અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર અને લાઈફ સપોર્ટ સિસ્ટમ ધરાવતા ICUને કારણે હવે જટિલ ન્યુરોસર્જરી અને યુરોલોજીના ઓપરેશન પણ અહીં શક્ય બન્યા છે. MBBS બેઠકો વધીને 75 થઈ, કુલ 274 વિદ્યાર્થીઓનું ભાવિ ઘડાઈ રહ્યું છેમાત્ર સારવાર જ નહીં, પણ તબીબી શિક્ષણમાં પણ રાજકોટ AIIMS કાઠું કાઢી રહી છે. શૈક્ષણિક વર્ષ 2025-2026થી MBBSની બેઠકો 50થી વધારીને 75 કરવામાં આવી છે. હાલમાં સંસ્થામાં 5 બેચના 274 અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમને 81 જેટલા અનુભવી ફેકલ્ટી સભ્યો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ડિજિટલ હેલ્થ: સી-ડેક દ્વારા ઇલેક્ટ્રોનિક મેડિકલ રેકોર્ડ સિસ્ટમ અમલીટેક્નોલોજીના મામલે પણ AIIMS સજ્જ છે. સી-ડેક (C-DAC) દ્વારા અહીં મજબૂત ઇલેક્ટ્રોનિક મેડિકલ રેકોર્ડ સિસ્ટમ તૈયાર કરાઈ છે, જેનાથી દર્દીના જૂના રિપોર્ટ્સ અને ટ્રીટમેન્ટ હિસ્ટ્રી માત્ર એક ક્લિક પર ઉપલબ્ધ બને છે. આ ઉપરાંત આધુનિક 3 ટેસ્લા MRI અને સિટી સ્કેન જેવી સુવિધાઓથી નિદાન સચોટ બન્યું છે. આટલી સુવિધા AIIMSની ભવ્ય સિદ્ધિઓ પર એક નજર સેવા અને સુવિધા આંકડાકીય વિગત

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 5:59 am

જહાંગીરપુરા દેહવેપાર રેકેટ:મુકત કરાયેલી થાઇલેન્ડની 12 મહિલાઓને ડિપોર્ટ કરાઇ

જહાંગીરપુરા ની હોટેલમાં ચાલતા કૂટણખાના પર રેડ કરી પોલીસે થાઈલેન્ડનું નાગરિકત્વ ધરાવતી 13 મહિલાઓને મુક્ત કરાવી હતી જેમાંથી 12ને આખરે તેમના વતન ડિપોર્ટ કરી દેવામાં આવી છે. એક મહિલાને ડિપોર્ટ કરવાની કામગીરી ચાલુ છે. માર્ચ 2025માં જહાંગીરપુરા કેનાલ રોડ પર આવેલી વાસુ પૂજ્ય ઇન્ફ્રા બિલ્ડિંગના ચોથા માળે ‘’પાર્ક પેવેલિયન હોટલ’’ની આડમાં ચાલતા સ્પા પર પોલીસે દરોડો પાડ્યો હતો. 13 થાઈલેન્ડની મહિલાઓ દેહવ્યાપારની પ્રવૃત્તિમાં સંકળાયેલી મળી આવી હતી. આ કેસમાં પકડાયેલા ગુનાઇત ઈતિહાસ ધરાવતા આરોપીઓને અગાઉ પાસા (PASA) હેઠળ જેલ ભેગા કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ મહિલાઓ આર્થિક લાભ માટે દેહવિક્રયના વ્યવસાયમાં સામેલ હતી. તેઓએ વિઝાની શરતોનો ભંગ કરી નિયત સમય મર્યાદા કરતા વધુ (ઓવર સ્ટે) રોકાણ કર્યું હતુંશહેર પોલીસ સ્પેશિયલ બ્રાંચ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના FRRO (Foreigners Regional Registration Office) સાથે સંકલન સાધીને 12 મહિલાઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી તેમને થાઈલેન્ડ પરત મોકલી આપવામાં આવી છે. એક મહિલાના દસ્તાવેજ ખૂટતા કાર્યવાહી ચાલુકુલ 13 મહિલાઓ પૈકી એક મહિલાનો પાસપોર્ટ ગુમ થયો હોવાથી, મુંબઈ સ્થિત થાઈ કોંસ્યુલેટની મદદથી તેના ઈમરજન્સી ટ્રાવેલિંગ ડોક્યુમેન્ટ્સ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.બાદમાં તેણીને ડિપોર્ટ કરાશે

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 5:56 am

દિવ્ય ભાસ્કર ટોક શો:સુરતના અટકેલા પ્રોજેક્ટમાં બિલ્ડર ગ્રુપના 7000 કરોડથી વધુ રૂપિયા ફસાયા

સુરત શહેર ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરવાની સાથે મેટ્રો સિટી બની રહ્યું છે અને બુલેટ ટ્રેન શરૂ થયા બાદ મુંબઈનું અંતર દોઢ કલાક પૂરતું સિમિત થઇજશે. આ સંજોગોમાં શહેરમાં બાંધકામ ઉદ્યોગ પણ નવી આશા તરફ મીટ માંડી બેઠું છે. પરંતુ જમીની સ્તરની વાસ્તવિકતા વચ્ચે એક મોટી ખાઈ છે. સુરતના બાંધકામ ક્ષેત્રની અટકેલી અને લટકાવી રખાયેલી ફાઈલો અને ટી.પી. સ્કીમને કારણે રૂપિયા સાત હજાર કરોડથી વધુ રોકાયેલા છે. દિવ્ય ભાસ્કર દ્વારા ક્રેડાઈના બિલ્ડરો સાથે થયેલી ચર્ચામાં સભ્યોએ પોતાનો સૂર વ્યક્ત કર્યો હતો. કોઈ પણ સ્ટેજમાં મંજુરી મળવાની વાત માત્ર કાગળ ઉપર જ રહે છેસરકાર ટીપી સ્કીમનો ઈરાદો જાહેર કર્યા બાદ ડ્રાફ્ટ ટીપી સ્કીમ બનાવે પછી ટેન્ટીટીવ અને પ્રિલિમનરી અને સરકાર તેને મંજુર કરે. આ પ્રક્રિયામાં 40 ટકા જમીન કપાતમાં આપ્યા બાદ ખેડુત કે બિલ્ડર્સ કયાંય નથી છતાં મંજુરીમાં વિલંબને કારણે થતો અન્યાય દેશના કોઈ રાજયમાં નથી. ખુદ સરકારે તા. 20-5-2017ના રોજ પરિપત્રથી જાહેર કરવામાં આવેલા નોટીફિકેશનથી બાંધકામની મંજૂરી મળી શકતી નથી. ડુમસ બીચનો વિકાસ સારો થયો કોસ્ટલ હાઈવે એલાઈમેન્ટ અધૂરુંસુરતમાં ડુમસ બીચનો સારો વિકાસ થઈ રહ્યો છે. બિલ્ડરો રસ્તા ખુલ્લા કરે પછી સરકાર આવે છે. ખરેખર તો એવું હોવું જોઇએ કે પ્રિલિમનરી રસ્તા પહેલાં ખુલવા જોઈએ, પ્લોટ વેલિડેશન મળે એટલે રસ્તો ખુલ્લો કરવો જ પડે. લોકોને રિવર કે, સમુદ્રના વ્યુ વાળા ફલેટ અને મકાન વધારે પસંદ છે પરંતુ પાળા અને નદીની બાઉન્ડ્રી નક્કી નહીં થવાને કારણે કોસ્ટલ હાઈવે એલાઈન્મેન્ટ ફિક્સ થયું નથી. નગર નિયોજનના ગામ સુડામાં આવતા ફરી એગ્રી ઝોન બન્યાસુરતની આસપાસના ગામડાંઓ જે નગર નિયોજનમાં હતા એમાં પ્લાન મંજુરી બાદ બનેલા બાંધકામ સુડામાં આવ્યા બાદ તેને ફરીથી એગ્રીકલ્ચર ઝોનમાં મુકવાનો અર્થ શું છે. લોકોને બેંક લોન પણ મળતી નથી. વર્ષ 2017માં ડી.પી.ના રસ્તામાં 120 મીટરના રસ્તા મુકાયા પરંતુ એલાયન્મેન્ટનો પ્રશ્ન ઊભો રહ્યો છે. લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પણ ફરિયાદો બહેરા કાને અથડાય છે. કેટલીક ટી.પી. સ્કીમ તો 26 વર્ષથી પેન્ડિંગ,GIDCથી ડેટા મળતો નથીસરકારની પોતાની ઓથોરિટી હોવા છતાં અમુક ટી.પી. સ્કીમ તો 26 વર્ષથી પેન્ડિંગ છે. કયાં તો GIDC ડેટા આપતી નથી, તો રિવર બાઉન્ડ્રી- પાળા યોજનાને કારણે 30 ટી.પી. સ્કીમ પરામર્શ, સીટીપી. અથવા તો સીએમ. લેવલે પેન્ડિંગ છે. ખાસ કરીને સુરતમાં એસ.ટી.પી. તરીકે ટી.પી. બનાવનાર અધિકારી હાલ સરકારમાં ખાસ ફરજ ઉપર છે તો પ્રશ્ન કયાં સ્તરે અટકે છે એની ઉપર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. સુરતમાં બિલ્ડરોને લગતી ઘણી બધી બાબતો સરકારમાં હજુ પેન્ડિંગ છેસુરતના બિલ્ડરોને લગતી ઘણી બાબત સરકારમાં પેન્ડિંગ છે. સુડા અને પાલિકા જરૂરિયાત મુજબ ટી.પી. સ્કીમ બનાવે, કપાત નક્કી થાય પછી ટી.પી.ઓ.ની જરૂર શું છે ? ડ્રાફ્ટ ટી.પી.માં એફ.પી. ફાળવણી બાદ પ્રિલિમનરીમાં નવા ટી.પી.ઓ. આવે અને કોઈને વાંધો નહીં હોવા છતાં ટી.પી.ઓ. ફેરફાર શા માટે ઈચ્છે છે. એક સ્કીમ ટી.પી.ઓ. ફાયનલ કરે ત્યાં સુધીમાં તેની બદલી થઈ જાય છે. 90 દિવસમાં ઉકેલનો પરિપત્ર છતાં સમસ્યાનું નિરાકણ આવતું નથીસુરતનો 2004નો ડી.પી. 2014માં પૂર્ણ થાય પરંતુ સરકારે 2017માં આશિંક મંજુર કર્યો. ડી.પી.ના પ્રશ્નો 90 દિવસમાં પૂર્ણ કરવા પરિપત્ર તા. 13-10-2019માં બહાર પડાયો પરંતુ 900 દિવસે પણ તેનો નિકાલ થયો નથી. એરપોર્ટ માટે ડી.પી. બનાવ્યો નથી. દસ વર્ષ પૂર્વેનું રિઝર્વેશન છે, ગ્રીન સિટીમાં હીરા બુર્સ સિવાયની જગ્યા બિઝનેસ માટે છે. સરકારે સેટેલાઈટ ટાઉનના ભાવ માર્કેટ કરતા બમણા રાખતા વિકાસ થતો નથી. આ ચર્ચામાં ક્રેડાઈના ચેરમેન અને પિરામીડ ગ્રુપના સંજય માંગુકિયા, પ્રમુખ અને તેજ ગ્રુપના ડો. જિજ્ઞેશ પટેલ, એ એન્ડ જે ગ્રુપના વિજય ઘામેલિયા, સંગિનીના રાજીવ પટેલ, શુભના સુરેશ પટેલ, એસ.એન.એસ. ડેવલપરના હર્ષિલ ડેલીવાળા, શોહમ ગ્રુપના તુષાર લાખાણી, રઘુવીર ડેવલપર્સના શિવાલ પોંકીયા અને જી.આર. આસોદરિયા, હિન્દવાના કેયુર ખેની, અવઘના દિલીપ ઉધાંડ, ગોપિનના લવજી ડાલીયા (બાદશાહ સુમેરુના અલ્પેશ શાહ, ગૃહમના અમર રાવલ, હરેશ મોતિસરિયા, સિનર્જીના અનંત અગ્રવાલ, સુરાણા ગ્રુપના સંજય સુરાણા અને અલ્પાઈનના નિહાર પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 5:55 am

વકીલ સાથે ઠગાઈ:ભાગીદારીમાં મિલકતો ડેવલપ કરી ભાગીદારોએ વકીલને 67 લાખનો ચૂનો ચોપડ્યો, 4 સામે ગુનો

વકીલ સાથે ભાગીદારીમાં કાઠીયાવાડી ડેવલોપર્સના નામે પેઢી શરૂ કરીને 3 મિલકતોને ડેવલપ કર્યા બાદ બારોબાર વેચી દઇ રૂ.67.02 લાખની છેતરપિંડી કર્યની ફરિયાદવેસુ પોલીસમાં નોંધાઇ છે. રાંદેર તાડવાડી શાલીગ્રામ સોસાયટીમાં રહેતા વિનોદભાઇ વાઘેલા વ્યવસાયે વકીલ છે. વર્ષ 2013માં તેમનો સંપર્ક નિરવ ગોહેલ (રહે, મેઘધનુષ સોસાયટી પીપલોદ) સાથે સંપર્ક થયો હતો. ત્યારે તેણે પોતે પિયુષ હેમંત સોલંકી, કૃતિ પિયુષ સોલંકી, અનુજ હેમંત સોલંકી નારાયણીકૃપા સાઈબાબા સોસાયટી) સાથે કાઠીયાવાડી ડેવલોપર્સના નામે ધંધો કરતા હોવાનું જણાવ્યું હતું. બાદમાં વર્ષ 2014માં નિરવે વકીલ વિનોદભાઇને ભાગીદારીની ઓફર કરી હતી. જેમાં નફામાંથી નિરવના 30 ટકા, પિયુષના 25 ટકા, કૃતિના 10 ટકા, અનુજના 10 ટકા તથા વકીલ વિનોદભાઇના 25 ટકાનો ભાગ નક્કી કરતા તેમની વચ્ચે ભાગીદારી કરી હતી. કાઠીયાવાડી ડેવલોપર્સના નેજા હેઠળ ભરથાણા મોહનદ્વાર સોસાયટીમાં એક પ્લોટ લીધો હતો. તેવી જ રીતે વેસુમાં આવેલી ગ્લોસી સોસાયટીમાં બે પ્લોટ ખરીદ્યા હતા. આ પ્લોટ પર બાંધકામ કરીને મોહનદ્વારની મિલકત રૂ.1.51 કરોડમાં જ્યારે વેસુના પ્લોટ ભાગીદાર પિયુષ ને એક પ્લોટ રૂ.45 લાખ તથા એક પ્લોટ રૂ.60 લાખમાં વેચી દીધો હતો. આ ધંધામા થયેલા નફામાંથી વિનોદભાઇના ભાગે નીકળતા રૂ.54.02 લાખ તથા તેમણે કરેલા રોકાણના રૂ.13 લાખ મળીને કુલ રૂ.67.02 લાખ તેમને આપવાના બદલે ચારેય ભાગીદારોએ વહેંચી લીધા હતા. આ અંગે વિનોદભાઇએ અનેક વખત ઉઘરાણી કરવા છતા તેમને નાણા નહીં આપતા આખરે તેમણે વેસુ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આદરી છે.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 5:52 am

ચૌટાના વેપારી સાથે મહિલાએ ઠગાઇ કરી:ઉમરા પોલીસમાં નોકરી કરતી હોવાનું કહી 60 હજાર પડાવ્યા

ઉમરા પોલીસમાં કામ કરતી હોવાનું કહીને ચૌટા બજારના વેપારીને તેના ફસાયેલા રૂ.21 લાખ કઢાવી આપવાના બહાને રુ.60 હજાર પડાવી લઇને છેતરપિંડી કરનાર મહિલા સામે અઠવાલાઇન્સ પોલીસમાં ગુનો નોંધાયો છે. રાંદેરના વિનોદ વતીયાણા ચૌટાબજારમાં લેડીઝ વેરનો ધંધો કરે છે. તા.8-1-2026ના રોજ તેની દુકાન પર રિઝવાના ઝાકીર જરીવાલા નામની મહિલાએ રૂ.900ના કપડા ખરીદ્યા બાદ પોતાની ઓળખ ઉમરા પોલીસમાં કામ કરતી હોવાની આપી હતી . જેથી વિનોદે પોતાના મિત્ર યશ મખીજા પાસે 21 લાખ લેવાના હોય તે કઢાવી આપવા કહ્યું હતું. જ્યારે રિઝવાનાએ વકીલ 10 ટકા ફી લેશે હું રુ.1.50 લાખમાં રુપિયા કઢાવી આપીશ એમ કહ્યું હતું. અને એડવાન્સ પેટે 60 હજાર લીધા હતા. બે દિવસ બાદ તેણી ફરી દુકાન પર આવી બીજા રૂ.20 હજાર માંગ્યા હતા. વેપારીએ ઇન્કાર કરતા તેણીએ જીદ પકડી હતી. જેથી વિનોદે પોતાના ભાઇ વિજયને બોલાવ્યો હતો. વિજયે પોલીસ મથકે જઇને રુપિયા આપવાનું કહેતા તે જતી રહી હતી. જ્યારે તેમણે ઉમરા પોલીસમાં તપાસ કરતા રિઝવાના નામની કોઇ મહિલા કામ કરતી ન હોવાનું જાણવા મળ્યું હતું. વિનોદ વતીયાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. ‘સરકારી વકીલ અને જજને આપવાના છે’રિઝવાના દુકાન પર પહોંચી જઇને વેપારી પાસેથી વધુ રૂ.20 હજારની માંગણી કરી હતી. મારે કોર્ટમાં સરકારી વકીલ અને જજને રુપિયા આપવાના છે એમ કહીને ઝઘડો કરવા લાગી હતી.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 5:52 am

ઉદ્યોગ સાહસિકોનું કરાયું સન્માન:ચેમ્બર દ્વારા ગોલ્ડન જ્યુબિલી એવોર્ડથી વિવિધ પ્રતિભાઓને સન્માનિત કરાઇ

ચેમ્બર ઓફ કોમર્સ ગોલ્ડન જયુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ગોલ્ડન જ્યુબિલી એવોર્ડ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં GCCIના પ્રમુખ અને એસ્ટ્રલ લિમિટેડના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર સંદીપ એન્જિનિયરે ભાગ લીધો હતો ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ચેમ્બરના પૂર્વ પ્રમુખ રજનીકાંત મારફતિયાને તેમના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમ્યાન ઉદ્યોગની સાથે સમાજના ઉત્થાન માટે જે વ્યકિતઓ અને સંસ્થાઓ મહત્વનું કામ કરે છે તેઓને બિરદાવવાના હેતુથી ગોલ્ડન જ્યુબીલી મેમોરીયલ ટ્રસ્ટ અને ગોલ્ડન જ્યુબીલી એવોર્ડની શરૂઆત કરી હતી. જો તમે ઇન્ડસ્ટ્રી અને સમાજ માટે નોંધનીય કાર્ય કરો તો સમાજ તમારી યોગ્ય કદર કરે જ છે અને તેને કારણે અન્યોને પણ પ્રોત્સાહન મળે છે. સમારોહના મુખ્ય મહેમાન સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે, તેમની કારકિર્દીની શરૂઆત પણ સુરતમાંથી જ થઈ હતી અને આ શહેરે તેમને ઘણું શીખવ્યું છે. તેમણે વિવિધ ઉદ્યોગ અને વ્યવસાય ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કાર્ય કરનાર ઉદ્યોગ સાહસિકોને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિને ખૂબ સરાહનીય ગણાવી હતી. આ ઉત્તમ પ્રવૃત્તિથી પ્રેરણા લઈને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પણ આવી જ રીતે એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવશે. સાથે જ તેમણે ચેમ્બરને એમએસએમઇ, સ્ટાર્ટઅપ અને આંત્રપ્રિન્યોરશિપ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સ્તરે એક–બે નવા એવોર્ડનો સમાવેશ કરવા અનુરોધ કર્યો હતો.ચેમ્બરના પૂર્વ પ્રમુખો તથા 300થી વધુ ઉદ્યોગકારો સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Apr 2026 5:51 am