સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં ગઇકાલે(7 ફેબ્રુઆરી) રાત્રે નજીવી બાબતે થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બાળકોના સામાન્ય વિવાદમાં સમજાવવા ગયેલા પિતા-પુત્ર પર પડોશીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં 30 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેના પિતા ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શું હતી સમગ્ર ઘટના?અમરોલીના કોસાડ આવાસના H-1 બ્લોકમાં બાળકો વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી. આ મામલો થાળે પાડવા અને પડોશીઓને સમજાવવા માટે 30 વર્ષીય મહોમ્મદ ફરીદ અઝીઝ બંબાવાલા અને તેમના પિતા ગયા હતા. જોકે, ઉશ્કેરાયેલા સામા પક્ષના લોકોએ સમજવાને બદલે પિતા-પુત્ર પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી દીધો હતો. પુત્રનું મોત, પિતા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છેઆ હુમલો એટલો ભયાનક હતો કે ફરીદ બંબાવાલાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. બીજી તરફ, પુત્રને બચાવવા ગયેલા પિતા પર પણ હુમલો થતા તેઓ હાલ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પરિવારે ગુમાવ્યો આધારસ્તંભમૃતક ફરીદ વ્યવસાયે રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના પરિવારમાં પત્ની અને બે માસૂમ બાળકો (એક દીકરી અને એક દીકરો), વૃદ્ધ માતા-પિતા અને ભાઈ-ભાભીનો સમાવેશ થાય છે. યુવાન પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. રોષે ભરાયેલા પરિવારજનોએ આરોપીઓને સખત સજા અને ઉંમર કેદની માગ કરી છે. પરિવારજનોના હૈયાફાટ રૂદને સૌ કોઈની આંખો ભીની કરીજુવાન દીકરાને ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ બહાર પરિવારજનોના હૈયાફાટ રૂદને સૌ કોઈની આંખો ભીની કરી દીધી હતી. ઘટનાની જાણ થતા જ અમરોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. મારો ભાઈ સમજાવવા ગયો ને પાછળથી ચપ્પુ મારી દીધું: મૃતકનો ભાઈમોહમ્મદ અઝીમે (મૃતકનો ભાઈ) જણાવ્યું કે બાળકો-બાળકો વચ્ચેનો ઝઘડો હતો, તેમાં મારો ભાઈ સમજાવવા ગયો હતો. એટલી જ વારમાં તે લોકોએ પાછળથી તેના પર ચપ્પુ વડે હુમલો કરી દીધો. ત્યારબાદ મારા પપ્પા પણ વાતચીત કરવા અને મામલો થાળે પાડવા ગયા હતા, પરંતુ મારા પપ્પાને પણ પાછળ કમરના ભાગે ચપ્પુ માર્યું છે. મારવાવાળા ત્યાંના મૌલાના આઝાદ છે, સદ્દામ છે, સિરાજ છે અને બીજો એક છે જેનું નામ મને ખબર નથી. એમ કુલ ચાર જણા હતા. ‘આરોપીઓને કડકમાં કડક સજા થાય’ફરીદભાઈ ત્યાં રિક્ષા ચલાવતા હતા. રિક્ષા ચલાવીને ધંધા પરથી ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે ત્યાં ઝઘડો થયો છે. તો મારો ભાઈ ખાલી વાત કરવા ગયો હતો કે મામલો પતી જાય, પણ તે લોકોએ પાછળથી વાર કરી દીધો. તેમની સજા એવી હોવી જોઈએ કે તેમના બંને ઘૂંટણ સુધીના પગ કાપી નાખવા જોઈએ. તેમને લાવારિસ ભિખારી બનાવી દો જેથી તે સિગ્નલ પર ભીખ માંગવા લાયક રહી જાય. આ સાથે તેમણે ઉંમર કેદની સજા કરવામાં આવે. સામાન્ય બાબતનો ઝઘડો હતો: મૃતકના સંબંધીમૃતકના સંબંધી ભીખન મુન્શી શેખે જણાવ્યું હતું કે, આ એક સામાન્ય બાબતનો ઝઘડો હતો, જે બાળકો-બાળકો વચ્ચે થયો હતો. આ ફરીદ નામનો છોકરો જેનું મૃત્યુ થયું છે તેમને સમજાવવા માટે ગયો હતો, પણ ત્યાં ચાર જણા હતા. જેમણે ભેગા મળીને તેને લાકડીઓ અને ચપ્પુના ઘા મારીને ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી. તેના પરિવારની બે-ત્રણ મહિલાઓને પણ ઈજા થઈ છે. મામલો ઘણો ગંભીર બની ગયો હતો એટલે રાત્રે જ અમે તેને સ્મીમેર હોસ્પિટલ લઈને આવ્યા હતા, જ્યાં જાણવા મળ્યું કે તેનું મૃત્યુ થઈ ગયું છે. તેના પિતાને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેઓ અત્યારે હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ‘પોલીસ અમને ન્યાય અપાવશે’આ ઘટના કોસાડ આવાસ, H1 બિલ્ડીંગ નંબર 50 પાસે બની હતી. હુમલો કરનારાઓમાં મૌલાના આઝાદ, સિરાજ, મુસ્તાકીમ અને સદ્દામ નામના ચાર ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે. આ માત્ર બાળકોના ઝઘડામાં સમજાવવા જવાની બાબતે આટલું મોટું પગલું ભરી લેવામાં આવ્યું છે. પોલીસ અત્યારે આ મામલે કાર્યવાહી કરી રહી છે અને અમને પોલીસ પર પૂરો ભરોસો છે કે તેઓ અમને ન્યાય અપાવશે. આરોપીઓની ઉંમર કેદની સજા થવી જોઈએ.
વેલેન્ટાઇન વીકનો બીજો દિવસ એટલે પ્રપોઝ ડે. આમ તો તમે મનગમતા પાર્ટનરને ગમે ત્યારે પ્રપોઝ કરી શકો. પણ વેલેન્ટાઇન વીકના બીજા દિવસને પ્રપોઝ ડે તરીકે મનાવવામાં આવે છે. ત્યારે દિવ્ય ભાસ્કરે પણ અમદાવાદીઓને પૂછ્યું કે શું તમને કોઇએ પ્રપોઝ કર્યું?… તો અમદાવાદીઓ કેવા પાર્ટનર પાછળ ઘેલા છે તે જાણવા માટે ઉપરની તસવીર પર ક્લિક કરો.
રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણના અઢી વર્ષ બાદ પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ ન થતા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરવામાં આવી છે. અમદાવાદની ફોરેનર્સ રિજિયોનલ રજિસ્ટ્રેશન ઓફિસની ટીમ દ્વારા બબ્બે વખત સર્વે થયા બાદ પણ ઈમિગ્રેશન ક્લિયરન્સ આપવામાં ન આવતા ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ શકી નથી. ઈન્ડિગોએ રાજકોટથી દુબઈ અને બેંગકોક માટેની ફ્લેટ શરૂ કરવા તૈયારી બતાવવામાં આવી છે, ત્યારે ઇમિગ્રેશન ક્લિયરન્સને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. ઈન્ડીગો રાજકોટ-દુબઈ અને રાજકોટ-બેન્કોક માટેની ફલાઈટ શરૂ કરવા તૈયાર આ દરમિયાન હાલમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી આશરે 26 જેટલી ડોમેસ્ટીક ફલાઈટોનું આવન-જાવન થઈ રહ્યું છે. રાજકોટ ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ થયાને આશરે સવા બે વર્ષ થઈ ગયા હોય ઈન્ટરનેશનલ ફલાઈટો એક પણ ઉડાન ભરી રહી નથી. ત્યારે ઈન્ડીગો એરલાઈન્સ સાથે મૌખીક ચર્ચા થયા મુજબ તેઓ રાજકોટ-દુબઈ અને રાજકોટ-બેન્કોક માટેની ફલાઈટ શરૂ કરવા માટે તૈયાર છે પરંતુ ઈમીગ્રેશનની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે તે શક્ય બની રહ્યું નથી. સર્વે બાદ પણ ઈમિગ્રેશનની સુવિધા માટે ભારત સરકારના ગૃહમંત્રાલયની મંજૂરી નહિજ્યારે કસ્ટમ્સ કલીયરન્સની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. વધુમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઈમિગ્રેશનની સુવિધા માટે અમદાવાદની ફોરેનર્સ રિજિયોનલ રજીસ્ટ્રેશન ઓફિસની ટીમ દ્વારા છેલ્લા 9 માસ પહેલા સર્વે કરવામાં આવ્યો હતો. તેઓ દ્વારા જે સૂચનો આપવામાં આવેલા હતા તે પ્રમાણે તમામ ફેરફારો પણ થઈ ગયા છે. તાજેતરમાં જ 3 માસ પહેલા આ જ કંપની દ્વારા બીજીવાર પણ સર્વે કરવામાં આવ્યો હતો અને તમામ વ્યવસ્થાઓ બરાબર હોવાનો અભિપ્રાય પણ આપ્યો છે, પરંતુ આજ દીન સુધી ઈમિગ્રેશનની સુવિધા માટે ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા મંજૂરી મળી નથી. અગાઉ ઈમીગ્રેશનની સુવિધા માટે રજૂઆતો કરાઈ હતીરાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા અગાઉ પણ ઈમીગ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ભારત સરકારના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉડયનમંત્રી કિંજરાપુ રામમોહન નાયડુ, રાજયકક્ષાના ઉડયનમંત્રી મુરલીધર મોહોલ, ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ તાત્કાલીક અસરથી રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઈમીગ્રેશનની સુવિધા શરૂ કરાવાવા માટે રજૂઆત કરવામાં આવી છે. જેથી કરીને ઈન્ટરનેશનલ ફલાઈટો વ્હેલીતકે શરૂ થાય અને રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગકારો, આમ પ્રજાને ઈન્ટરનેશનલ ફલાઈટોની સુવિધાનો લાભ મળી રહે તેમ જણાવ્યુ હતુ. સૌરાષ્ટ્રના નજરાણા સમાન નિર્માણ પામેલ રાજકોટ ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું 27 જુલાઈ, 2023ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામા આવ્યુ હતું. રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને PMના નેતૃત્વમાં ઉદ્યોગો ખૂબ જ વેગવંતા બન્યા છે, ત્યારે રાજકોટ ખાતે 2.25 લાખથી વધુ MSME એકમો કાર્યરત હોય અને આયાત-નિકાસ પણ દિન પ્રતિનિધિ વધી રહ્યું છે. આ સાથે જ સમગ્ર સૌરાષ્ટ્ર ઐતિહાસિક સ્થળોથી પથરાયેલું હોવાથી વિદેશીઓ સહિત અન્ય રાજયોના પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે.
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના સહયોગથી એક વિશેષ પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ગામના પ્રગતિશીલ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વ્યાપ અને પ્રચાર-પ્રસાર અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. તાલીમ દરમિયાન, કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતીના દુષ્પરિણામો સમજાવવામાં આવ્યા હતા. તેમને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. નિષ્ણાતોએ પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો અને તેના પાંચ મુખ્ય આયામો જેવા કે બીજામૃત, જીવામૃત, આચ્છાદન, વાપ્સા અને જીવાત નિયંત્રણ વિશે સવિસ્તાર માહિતી આપી. આ ઉપરાંત, ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવા, ખેતી ખર્ચ ઘટાડવા અને ઝેરમુક્ત ખેતી દ્વારા લોકોના સ્વાસ્થ્યની રક્ષા કરવા અંગે પણ જાગૃત કરવામાં આવ્યા. આ પદ્ધતિઓ અપનાવવાથી પર્યાવરણનું રક્ષણ કેવી રીતે થઈ શકે તે વિશે પણ સમજાવવામાં આવ્યું. આ તાલીમ શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. તેમણે પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓને ઊંડાણપૂર્વક સમજીને પોતાના ખેતરમાં તેનો અમલ કરવાનો ઉત્સાહ દર્શાવ્યો. આ આયોજન દ્વારા ગ્રામ્ય સ્તરે ટકાઉ ખેતી અને પર્યાવરણની જાળવણીનો સંદેશ સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યો.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભુરખલ ગામમાં 'ડીજે વોર'નો વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે કડક કાર્યવાહી કરી છે. શહેરા પોલીસે બંને ડીજે સિસ્ટમ સહિત 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને તેના સંચાલકો પાસે જાહેરમાં માફી મંગાવી હતી. આ ઘટના ભુરખલ ગામમાં એક સામાજિક પ્રસંગ દરમિયાન બની હતી. જેમાં બે અલગ-અલગ ડીજે સિસ્ટમ્સને સામસામે ગોઠવીને 'ડીજે વોર' સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધા દરમિયાન કેટલાક યુવાનો ડીજે ટ્રકો પર જોખમી રીતે ચઢેલા જોવા મળ્યા હતા. યુવાનો દ્વારા જાહેરમાં અભદ્ર ઈશારાઓ કરીને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. મોટા અવાજે સંગીત વગાડીને જાહેર શાંતિનો ભંગ પણ કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જ શહેરા પોલીસ સક્રિય બની હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર અંકુર ચૌધરીના જણાવ્યા પ્રમાણે, બંને ડીજે સિસ્ટમ અને વાહન મળી 15 લાખ ઉપરાંતનો મુદ્દામાલ તપાસના કામે કબ્જે લેવામાં આવ્યો છે. એટલું જ નહીં પોલીસે બંને ડીજે સંચાલકો પાસે જાહેરમાં કાન પકડાવી માફી મંગાવી હતી. ભવિષ્યમાં આવા કૃત્યોનું પુનરાવર્તન ન થાય અને જાહેર શાંતિ જળવાઈ રહે તે હેતુથી આ પગલું ભરવામાં આવ્યું હતું.
અમરેલી મુખ્ય બજારમાં ગટરના પાણી ઉભરાયા:જિલ્લા પંચાયત નજીક દુર્ગંધથી વેપારીઓ-રાહદારીઓ પરેશાન
અમરેલી શહેરની મુખ્ય બજારમાં આવેલા જિલ્લા પંચાયત બિલ્ડીંગ નજીક ગટરના ગંદા પાણી ફરી એકવાર રોડ પર ઉભરાઈ રહ્યા છે. આ સમસ્યાને કારણે સમગ્ર વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે, જેનાથી રાહદારીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકાની કથિત બેદરકારીને કારણે આ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી દર બેથી પાંચ દિવસે સર્જાય છે. ગટર મેન્ટેનન્સ વારંવાર કરવા છતાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવતું નથી, જેના પરિણામે સમગ્ર વિસ્તાર દુર્ગંધ અને ગંદકીથી પ્રભાવિત થયો છે. જિલ્લા પંચાયત બિલ્ડીંગ નજીક ગટરના ગંદા પાણી રોડ પર ભરાઈ રહેતા વેપારીઓ, દુકાનદારો, ગ્રાહકો અને વાહનચાલકો સહિતના રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. દુકાનો સામે ગંદુ પાણી ભરાઈ રહેવાથી ધંધા-રોજગાર પર સીધી અસર પડે છે, અને દુર્ગંધના કારણે લોકોમાં આરોગ્યની ચિંતા પણ વધી છે. સ્થાનિક વેપારીઓ દ્વારા નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, આજદિન સુધી આ ગંભીર સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી, જેને લઈને લોકોમાં વ્યાપક નારાજગી પ્રવર્તી રહી છે. આ અંગે સ્થાનિક વેપારી કલ્પેશભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે, દર અઠવાડિયે આ ગટરનો પ્રશ્ન ઉભો થાય છે, જેના કારણે ભયંકર દુર્ગંધ આવે છે. નગરપાલિકાના અધિકારીઓ ધ્યાન આપતા નથી. તેઓ ત્રણ-ચાર પાઈપ લઈને આવે છે, પણ કામ કરતા નથી. ઢાંકણા તૂટી જાય છે અને દસ દિવસે રિપેર કરવા આવે છે. આગળ એક મોટો ટાંકો તૂટી ગયો છે અને ખાડો પડ્યો છે, છતાં ઢાંકણું બદલવામાં આવ્યું નથી. અમે નગરપાલિકામાં ત્રણ-ચાર વાર રજૂઆત કરી છે, પણ 'આવશું, આવશું' એવો જવાબ મળે છે. આના કારણે ગ્રાહકો પણ આવતા નથી.
ભાજપના સાંસદ નરહરી અમીનની રજૂઆત બાદ અમદાવાદના એસપી રિંગ રોડ પર ઝુંડાલથી વૈષ્ણોદેવી તરફ જવાના રોડ ઉપર હોટલ હિલ્લોક નજીકનો ડિવાઈડર કટ ઔડા-પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે થઈ ન્યુ ત્રાગડ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે. ત્યારે આજે (8 ફેબ્રુઆરી)ના રોજ ડિવાઈડર કટને ખોલવા માટે સ્થાનિક નાગરિકો દ્વારા સિગ્નેચર કેમ્પેઇન કરવામાં આવ્યું છે. લોકોને ત્રણથી ચાર કિલોમીટર ફરીને જવું પડતું હોવાના કારણે હાલાકી પડી રહી છે. જેથી કટ ખોલાવવા માટે સ્થાનિક લોકો દ્વારા નરહરી અમીન અને કોર્પોરેટરોને રજૂઆત કરી છે છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકો હવે રોડ ઉપર ઉતરી આવ્યા છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચાડા ગામ પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 75 વર્ષીય વૃદ્ધા ધરોઈ કેનાલમાં ડૂબ્યા હોવાના સમાચારથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગત(7 ફેબ્રુઆરી) બપોરના સમયથી બનેલી આ ઘટનામાં મહેસાણા ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓની ભારે જહેમત બાદ પણ હજુ સુધી વૃદ્ધાનો કોઈ પત્તો લાગ્યો નથી. કેનાલના કિનારેથી વૃદ્ધાના ચશ્માં અને ચપ્પલ મળ્યાખેરાલુના ચાડા ગામના વતની આનંદીબેન મગનલાલ બારોટ (ઉં.વ. 75) ગત બપોરે ગામ પાસેથી પસાર થતી ધરોઈ કેનાલ પાસે ગયા હતા. આ દરમિયાન તેઓ અકસ્માતે કેનાલના ધસમસતા પ્રવાહમાં ખાબક્યા હતા. આસપાસના ખેતરમાં કામ કરતા લોકો અને પસાર થતા વિદ્યાર્થીઓએ વૃદ્ધાને કેનાલમાં પડતા જોઈ બૂમાબૂમ કરી મૂકી હતી. ઘટનાની જાણ થતા જ કેનાલ કાંઠે સ્થાનિકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. કેનાલના કિનારેથી વૃદ્ધાના ચશ્માં અને ચપ્પલ મળી આવ્યા હતા જેના પરથી તેઓ અહીં જ ડૂબ્યા હોવાની પુષ્ટિ થઈ હતી. ધરોઈ ડેમમાંથી પાણી બંધ કરી સર્ચ ઓપરેશનસ્થાનિકોએ તાત્કાલિક મહેસાણા ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. વૃદ્ધાની શોધખોળ માટે ધરોઈ ડેમમાંથી કેનાલનું પાણી પણ બંધ કરાવવામાં આવ્યું હતું. ફાયરની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ ગત મોડી સાંજ સુધી કેનાલના ઊંડા પાણીમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. જોકે અંધારું થઈ જતાં અને વિઝિબિલિટી ઘટતા રાત્રિના સમયે રેસ્ક્યુ કામગીરી અટકાવવાની ફરજ પડી હતી.આજે વહેલી સવારથી ફરી એકવાર મહેસાણા ફાયર ટીમ દ્વારા કેનાલમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વૃદ્ધા હજુ સુધી ન મળતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
સોમનાથ મંદિરના દિગ્વીજય દ્વાર તેમજ મહારાણી અહલ્યાબાઈ હોલ્કર નિર્મિત જુના સોમનાથ મંદિર સાથે પ્રભાસ પાટણ ગામને જોડતા સદીઓ જૂના જાહેર રસ્તાઓને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ પણ પ્રકારની આગોતરી જાણ કે જાહેર સૂચના વિના રાતોરાત સિમેન્ટની દીવાલો અને આડશો ઉભી કરી બંધ કરી દેવાતા સમગ્ર પ્રભાસ પાટણ ગામમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે પ્રભાસ પાટણ ગામના નાગરિકોનું પ્રતિનિધિત્વ કરતી પ્રભાસ હીત રક્ષક સમિતિ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ તથા જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવી, મંદિર ટ્રસ્ટ દ્વારા મનસ્વી રીતે બંધ કરાયેલા બંને રસ્તાઓ તાત્કાલિક અસરથી ખુલ્લા કરાવવા માગણી કરવામાં આવી છે. પ્રભાસ હીત રક્ષક સમિતિના પ્રમુખ હેમલચંદ્ર ભટ્ટ, ઉપપ્રમુખ બાલાભાઈ શામળા સહિતના આગેવાનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, પ્રભાસ પાટણ ગામ સદીઓથી વસેલું છે અને ચારથી પાંચ પેઢીથી ગ્રામજનો અહીં વસવાટ કરે છે. જ્યારે ગામ વસ્યું ત્યારે સોમનાથ મંદિર જર્જરિત અવસ્થામાં હતું અને અહલ્યાબાઈ હોલ્કર દ્વારા નિર્મિત જુનુ મંદિર હાજર હતું. તે સમયથી પ્રભાસ પાટણ ગામની મુખ્ય બજારથી દિગ્વીજય દ્વાર સુધીનો ખુલ્લો રસ્તો ગ્રામજનો તથા યાત્રાળુઓ માટે જીવનરેખા સમાન રહ્યો છે. આ રસ્તાઓ માત્ર અવરજવર માટે નહોતા, પરંતુ પ્રભાસ પાટણ ગામ માટે ધોરીનશ સમાન હતા. ચારથી પાંચ પેઢીથી અહીં વસતા ગ્રામજનો માટે આ રસ્તાઓ ધાર્મિક આસ્થા, સામાજિક સંસ્કાર, આર્થિક પ્રવૃત્તિ અને આપત્તિ સમયે જીવ બચાવવાના માર્ગ રહ્યા છે. ભગવાન શ્રી સોમનાથજીના નિયમિત દર્શન, અંતિમ યાત્રા સમયે ધ્વજાજીના દર્શન, તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ તથા આગના બનાવોમાં ફાયર ફાઈટર પહોંચાડવા માટે આ રસ્તાઓ અનિવાર્ય રહ્યા છે. પરંતુ કોઈ આગોતરી જાણ, જાહેરનામું કે વૈકલ્પિક વ્યવસ્થા વિના ટ્રસ્ટ દ્વારા આ રસ્તાઓ બંધ કરાતા પ્રભાસ પાટણ ગામ અને સોમનાથ મંદિર પરિસર વચ્ચે જાણે દીવાલ ઊભી કરી દેવામાં આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પરિણામે યાત્રાળુઓનો ગામમાં પ્રવેશ અટકી ગયો છે, જેના કારણે સ્થાનિક વેપાર, હોટલ, રેસ્ટોરન્ટ, વણકામ, દરજીકામ જેવા પરંપરાગત ધંધાઓ પર સીધી અસર પડી છે. પ્રભાસ હીત રક્ષક સમિતિએ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયને પાઠવેલા આવેદનપત્રમાં આ પગલાને કાયદા વિરુદ્ધ અને મનસ્વી ગણાવ્યું છે. સમિતિના જણાવ્યા મુજબ, સીટી સર્વે રેકોર્ડ અનુસાર 1922થી 1926 દરમ્યાનથી આ રસ્તાઓ સરકારી જાહેર રસ્તા તરીકે અસ્તિત્વમાં છે અને 100 વર્ષથી વધુ સમયથી જાહેર ઉપયોગમાં છે. ઈન્ડિયન ઈઝમેન્ટ એક્ટ મુજબ ગ્રામજનોના કાયદેસર ઈઝમેન્ટ રાઈટ હોવા છતાં, તે અધિકારો રાતોરાત છીનવી લેવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરના પ્રહલાદનગર ગાર્ડન પાસેથી ગઇકાલે(7 ફેબ્રુઆરી) બપોરના સમયે એક ગાડીમાં ડ્રાઇવર શેઠાણીને લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન ડ્રાઇવરથી આગળની ગાડીને ગાડી અડી જતા ગાડીમાંથી એક યુવક યુવતીએ ઉતરીને ડ્રાઈવર અને શેઠાણીને લાફા મારી દીધા હતા. આ અંગે ડ્રાઈવરે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આગળની ગાડીને કાર અડી ગઈવેજલપુરમાં રહેતા ઉપેન્દ્ર યાદવે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે પ્રહલાદનગર ખાતે રહેતા તેમના શેઠાણી નિધી શાહને ગાડીમાં લઈને તે જતો હતો. આ દરમિયાન પ્રહલાદનગર ગાર્ડન પાસે આગળની ગાડીને તેમની ગાડી અડી જતા આગળની ગાડીમાંથી એક યુવતી અને તેની સાથે એક યુવક ગાડીમાંથી ઉતરીને બહાર આવ્યા હતા. ડ્રાઇવર અને શેઠાણીને લાફા માર્યાબંનેએ ઉપેન્દ્રને કહ્યું હતું કે તું આંધળો છે તેમ કહી ઉપેન્દ્ર અને નિધીબેનને ગાળો બોલીને પાછળનો દરવાજો ખોલી નિધીબેનને લાફા મારી દીધા હતા. ઉપેન્દ્રને પણ એક લાફો મારી દીધો હતો. આ દરમિયાન તેમના પતિ સંયમ શાહને ફોન કરતા સંયમભાઈ પણ ત્યાં પહોંચ્યા ત્યારે બંનેેએ સંયમભાઈનો કોલર પકડીને તેમને પણ રસ્તાની વચ્ચે બે લાફા મારી દીધા હતા. યુવક-યુવતી મારામારી કરી ત્યાંથી જતા રહ્યા હતા. બાદમાં આ અંગે ઉપેન્દ્રએ ફરિયાદ નોંધાવતા આનંદનગર પોલીસે તપાસ શરૂ કરી છે.
ચીન ડૉલર-બોન્ડ વેચી સોનાનો કરી રહ્યો છે ભંડાર, સતત 15મા મહિને બમ્પર ખરીદી કરી ચોંકાવ્યાં
Gold and China News : ચીન સતત અમેરિકન બોન્ડ વેચીને ડી-ડોલરાઈઝેશન તરફ આગળ વધી રહ્યું છે. ચીનની આ આક્રમક નીતિનો વઘુ એક પુરાવો મળ્યો છે જેમાં ચીન યુએસ બોન્ડ અને ડોલર વેચી તો રહ્યું છે અને સામે સોનાનો બમ્પર સ્ટોક પણ કરી રહ્યું છે. બીજી તરફ સોનાના ઊંચા ભાવને પરિણામે 2025માં વિશ્વની વિવિધ કેન્દ્રીય બેન્કો દ્વારા સોનાની ખરીદી 1000 ટનની અંદર રહી હતી. અગાઉના ત્રણ વર્ષમાં દર વર્ષે ખરીદીનો આંક 1000 ટનની ઉપર રહ્યો હતો. ચીનની સેન્ટ્રલ બેંકે સતત 15મા મહિને સોનાની ખરીદી કરીને વૈશ્વિક નાણાકીય બજારોનું ધ્યાન ખેંચ્યું છે.
સુરતમાં ફરી લાગી ટેકસટાઇલ માર્કેટમાં આગ લાગી છે. પુણા વિસ્તારમાં આવેલી નિધિ ટેકસ્ટાઈલ માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ખાતામાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ છે. ખાતામાં જથ્થાના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતા પાંચ ફાયર સ્ટેશનની 10 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ફાયરના જવાનો દ્વારા ઓક્સિજન માસ્ક પહેરી અંદર પ્રવેશ કરીને પાણીનો મારો ચલાવી રહ્યા છે. ટેક્સટાઇલ માર્કેટમાં આગના પગલે ચીફ ફાયર ઓફિસર સહિતના ઘટના સ્થળે દોડી ગયા છે. રવિવાર હોવાથી રજાનો દિવસે આગથી હાલ સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી.
NDPS કેસનો આરોપી ઝડપાયો:પોશીનાના ચંદ્રાણા પાસેથી ડીસા પોલીસે પકડ્યો
સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસે NDPSના ગુનામાં આઠ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીને પોશીનાના ચંદ્રાણા ગામની સીમમાંથી બાતમીના આધારે પકડવામાં આવ્યો હતો. પોશીના પોલીસ સ્ટેશનના PI ડી.એન. સાધુએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, PSI આર.કે. ગજ્જર અને ડી-સ્ટાફના માણસો પોશીના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન સ્ટાફના દીપકકુમારને બાતમી મળી હતી. બાતમી મુજબ, બનાસકાંઠા જિલ્લાના ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનામાં નાસતો ફરતો આરોપી હવલાભાઈ કાંતિભાઈ નાગોત્તર (રહે. ચંદ્રાણા, તા. પોશીના) ચંદ્રાણા ગામની સીમમાં રોડ પર ઊભો હતો. આ બાતમીના આધારે પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને છેલ્લા આઠ મહિનાથી ફરાર હવલાભાઈને ઝડપી લીધો હતો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેને ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ હવલાભાઈ કાંતિભાઈ નાગોત્તર છે, જેની ઉંમર 38 વર્ષ છે અને તે ચંદ્રાણા (ખણીઘાંટીફળો), તા. પોશીના, જિ. સાબરકાંઠાનો રહેવાસી છે.
નવસારી શહેરમાં ગત રાત્રે સુશ્રુષા હોસ્પિટલ નજીક એક લગ્ન પ્રસંગના ગરબામાં બેફામ ગતિએ આવતી કાર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં ગરબા રમી રહેલા 5થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ફૂલ સ્પીડમાં કાર ગરબા રમી રહેલા ટોળામાં ઘુસાડી દીધી હતી. પ્રાથમિક આશંકા છે કે કાર ચાલક નશાની હાલતમાં હતો, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે લગ્ન પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતા જ વિજલપોર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પીડિત પરિવાર દ્વારા વિજલપોર પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અરજી આપવામાં આવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી, લોકોના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી છે અને કાર ચાલકની અટકાયત કરવાના પ્રયાસો શરૂ કર્યા છે.
અમદાવાદના પાલડી વિસ્તારમાં ક્લિનિક ચલાવતા ડોક્ટરને ધમકાવીને એક ગેંગના લોકોએ પૈસા પડાવ્યા છે. ડોક્ટર તેમની કેબિનમાં બોડી મસાજ કરાવતા હોય તેવા સીસીટીવી મોકલીને 40 હજાર અને 35 હજાર જેવી રકમ માંગતા ડોક્ટરે ગભરાઇને ઓનલાઇન 5 હજાર મોકલી દીધા હતા. જોકે બાદમાં આરોપીઓએ બ્લેકમેલ કરવાનું યથાવત રાખતા ડોક્ટરે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ડોક્ટર મસાજ કરાવતા હોય તેવું ફૂટેજ ડિલીટ કરવાના 35 હજાર માગ્યાપાલડી વિસ્તારમાં રહેતા આધેડ વયના ડોક્ટરને થોડા દિવસો પહેલા વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી એક વીડિયો આવ્યો હતો. આ વીડિયોમાં ક્લિનિકના ફૂટેજ હતા. જેમાં ડોક્ટર બોડી મસાજ કરાવતા હતા. વીડિયો મોકલનારે આવી અનેક ક્લિપ હોવાનું કહીને ડોક્ટરને ડરાવ્યા હતા. વીડિયો મોકલનારે આખુ ફોલ્ડર બનાવ્યુ છે અને તે ફૂટેજ ડિલીટ કરવાના 35 હજાર રૂપિયાની માંગણી કરી હતી. વીડિયોની સાથે ઓનલાઇન પેમેન્ટ માટે સ્કેનર મોકલ્યુંમેસેજ કરનારે પૈસા નહી આપો તો સમાજના ગ્રુપમાં વીડિયો મોકલીને તમને બદનામ કરીશુ તેવી ધમકી પણ આપી હતી. જેથી ડોક્ટરે ગભરાઇને તેમનો નંબર બંધ કરી દીધો હતો. જે બાદ ફરીથી શખસોએ તેમને અન્ય એક વીડિયો મોકલ્યો હતો સાથે ઓનલાઇન પેમેન્ટનું સ્કેનર મોકલ્યુ હતું. બાદમાં વોટ્સએપ નંબરથી અવાર-નવાર પૈસાની માંગણી ચાલુ રહેતા તેમણે નંબર બ્લોક કરી દીધો હતો. અગર ઘી સીધી ઉંગલી સે નહી નીકલેગા તો ટેઢી કરની પડેગી જોકે ડોક્ટરે ડરીને પાંચ હજાર રૂપિયા ચુકવી દીધા હતા. ઓનલાઇન પેમેન્ટની લિમીટ હોવાથી આરોપીઓએ બેંક એકાઉન્ટની વિગતો આપીને 40 હજારની માંગણી કરી હતી. જેથી ડોક્ટરે પરિચિત તથા મિત્રો સાથે વાત કરતાં આ મામલે અરજી કરી હતી. ડોક્ટરે પૈસા ન આપતા અગર ઘી સીધી ઉંગલી સે નહી નીકલેગા તો ટેઢી કરની પડેગી તેવા મેસેજ કરીને ધમકી આપી હતી. જે બાદ ફેસબુક પેજનો ફોટો મોકલ્યો હતો જે પેજની વિઝીટ કરતાં તેમાં ક્લીનીક અને ડોક્ટરની વિગતો સાથેના અગાઉ મોકલેલા વીડિયો અપલોડ કર્યા હતા. ડોક્ટરે અરજી કર્યા બાદ હવે પાલડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દક્ષિણ ગુજરાતનું શાંત અને હરિયાળું શહેર ગણાતું નવસારી હવે વિશ્વના નકશા પર નવી ઓળખ પ્રસ્થાપિત કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધી માત્ર ચીકુ અને કેરીની વાડીઓ માટે જાણીતું આ શહેર આગામી દિવસોમાં 'મેરેજ ટુરિઝમ'નું હબ બનશે. નવસારીના એક ખેડૂતપુત્રએ ખેતીમાં નુકસાન વેઠ્યા બાદ હિંમત હારવાને બદલે કન્સ્ટ્રક્શન ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. હવે અડદા ગામમાં 250 કરોડના ખર્ચે એક ભવ્ય પ્રોજેક્ટ સાકાર કરી રહ્યા છે, જે 5000 લોકોને રોજગારીની તકો પૂરી પાડશે. આ સાથે જ મુંબઈથી માત્ર દોઢ કલાકના અંતરે આ વર્લ્ડ ક્લાસ સુવિધા વિકસશે. ત્યારે અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટથી આને ખૂબ મોટો ફાયદો થશે. ખેતીના સંઘર્ષમાંથી કન્સ્ટ્રક્શનનો માર્ગઆ સાહસિક સફરની શરૂઆત સંજય પટેલ નામના યુવાન દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 2000થી 2005 દરમિયાન તેઓ પરંપરાગત ખેતી સાથે જોડાયેલા હતા. જોકે, બદલાતા વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે વારંવાર પાક નિષ્ફળ જતાં તેમને મોટું આર્થિક નુકસાન થયું હતું. કુદરત પર નિર્ભર ખેતીમાં અનિશ્ચિતતા જણાતા તેમણે 2005માં કન્સ્ટ્રક્શન ક્ષેત્રે પદાર્પણ કર્યું. નવસારી જેવા ટાયર-3 શહેરમાં તેમણે સૌપ્રથમવાર 'રી-ડેવલપમેન્ટ'નો કન્સેપ્ટ રજૂ કરીને ઈમારતોનો કાયાકલ્પ કરવાનું શરૂ કર્યું હતું. 'મેરેજ ટૂરિઝમ' શા માટે?આ પ્રોજેક્ટ પાછળનો વિચાર સંજય પટેલને તેમના યુરોપ પ્રવાસ દરમિયાન આવ્યો હતો. વિદેશમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ કયા શહેરના છે, ત્યારે 'નવસારી' નામ કોઈ ઓળખી શક્યું નહીં. પરંતુ જ્યારે તેમણે 'સુરતની બાજુમાં' એમ કહ્યું ત્યારે તુરંત ઓળખ મળી હતી. આ ઘટનાએ તેમને હચમચાવી દીધા. તેમણે નક્કી કર્યું કે નવસારીની ઓળખ માત્ર સુરતના પડોશી શહેર તરીકે નહીં, પરંતુ ગ્લોબલ લેવલે સ્વતંત્ર હોવી જોઈએ. તેમણે નક્કી કર્યું કે નવસારીને સુરતના ઓશિયાળા રહેવાને બદલે એક સ્વતંત્ર અને વૈશ્વિક ઓળખ આપવી જોઈએ. આ હેતુથી તેમણે સુરત જેવી જ લક્ઝુરિયસ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ સુવિધાઓ નવસારીમાં લાવવાનું નક્કી કર્યું. આ હેતુથી તેમણે નવસારીને વેડિંગ હબ બનાવવાનું બીડું ઝડપ્યું છે. પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ અને સુવિધાઓઅડદા ગામમાં 8 લાખ સ્ક્વેર ફૂટ જેટલી વિશાળ જમીન પર આ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. જેની સુવિધાઓ આંતરરાષ્ટ્રીય હોટલ ચેઈન જેવી કે તાજ અને મેરિયટને ટક્કર આપે તેવી હશે.કુલ રોકાણ 250 કરોડ (અંદાજિત)જમીનનો વિસ્તાર 8,00,000 સ્ક્વેર ફૂટમહેમાનોની ક્ષમતા 5,000 લોકો એકસાથેરૂમની સંખ્યા 235 લક્ઝુરિયસ રૂમ્સબેન્ક્વેટ હોલ 25,000 સ્ક્વેર ફૂટ (કોલમ લેસ)રમત-ગમત IPL સાઈઝ ક્રિકેટ ગ્રાઉન્ડ, ગો-કાર્ટિંગ, ટેનિસ કોર્ટઅન્ય સુવિધાઓ ઓલિમ્પિક સાઈઝ સ્વિમિંગ પૂલ, 1,200ની ક્ષમતાનું ઓડિટોરિયમપાર્કિંગ 500 કારની ક્ષમતા NRI અને મુંબઈના પરિવારો માટે પ્રથમ પસંદગી રહેશેનવસારી જિલ્લો એનઆરઆઈ (NRI) હબ ગણાય છે. દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન હજારો પરિવારો વતન આવે છે. અત્યાર સુધી આ પરિવારો ડેસ્ટિનેશન વેડિંગ માટે રાજસ્થાનના ઉદયપુર, જયપુર કે ગોવા તરફ વળતા હતા, જેના કારણે કરોડો રૂપિયાનું મહેસૂલ અન્ય રાજ્યોમાં જતું હતું. હવે, નવસારીમાં જ આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ મળવાથી આ આર્થિક પ્રવાહ સ્થાનિક કક્ષાએ જળવાઈ રહેશે. વધુમાં, આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ થતા મુંબઈથી નવસારી માત્ર 1.5 કલાકમાં પહોંચી શકાશે. મુંબઈમાં થતા કરોડોના ખર્ચ કરતા અડધા ભાવે અહીં વૈશ્વિક સુવિધાઓ મળશે, જે મુંબઈગરાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. રોજગારીનું નવું એન્જિનઆ પ્રોજેક્ટ માત્ર એક ઈમારત નથી પણ આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર છે. આ પ્રોજેક્ટ દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 5,000 લોકોને રોજગારી મળશે. કયા ક્ષેત્રોને બુસ્ટ મળશે કેટરિંગ અને ફૂડ ઉદ્યોગ: મોટા પાયે સ્થાનિક ઉત્પાદનો અને સેવાઓનો વપરાશ વધશે. ઈવેન્ટ મેનેજમેન્ટ: ડેકોરેશન, ડીજે, સાઉન્ડ સિસ્ટમ અને સલૂન વ્યવસાયને વેગ મળશે. ટ્રાન્સપોર્ટેશન: લોકલ ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ એજન્સીઓના બિઝનેસમાં વધારો થશે. કોલેજ પૂરી ખેતી તરફ વળ્યાં પણ ફેલડેવલોપર સંજય પટેલ જણાવે છે કે હું મારા પૂર્વજોના વ્યવસાય એટલે કે ખેતીમાંથી આવું છું. કોલેજ પૂરી કર્યા પછી મેં લગભગ પાંચ વર્ષ ખેતી કરી, પરંતુ ખેતી સંપૂર્ણપણે કુદરત પર આધારિત છે. વારંવાર કમોસમી વરસાદ અને પાક નિષ્ફળ જવાને કારણે, મેં આ વ્યવસાય છોડીને કંઈક નવું કરવાનું વિચાર્યું. મને પહેલેથી જ કન્સ્ટ્રક્શનમાં રસ હતો, તેથી 2005થી મેં ખેતી છોડીને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય લીધો. ગુજરાતનું સૌથી મોટું મેરેજ ડેસ્ટિનેશનનું સપનુંપટેલ વધુમાં જણાવે છે કે, અમે હવે 'મેરેજ ટુરિઝમ' પર વધુ ધ્યાન આપી રહ્યા છીએ. નવસારી એક એન.આર.આઈ. (NRI) પ્રભુત્વ ધરાવતું શહેર છે, જ્યાં વર્ષોથી લોકો તેમના બાળકોના લગ્ન કરાવવા માટે આવતા હોય છે. લોકો જયપુર અને ઉદયપુર જેવા સ્થળોએ લગ્ન માટે કરોડો રૂપિયા ખર્ચે છે. અમે નવસારીમાં 8 લાખ સ્ક્વેર ફૂટમાં એક ભવ્ય ક્લબ હાઉસ અને દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું મેરેજ ડેસ્ટિનેશન તૈયાર કરી રહ્યા છીએ, જેથી તે જ સુવિધાઓ અહીં મળી શકે. નવસારીની ઓળખ સુરતના આધારે થતીજ્યારે હું વિદેશ જતો ત્યારે મને એ વાતનું દુઃખ થતું કે અમારે નવસારીની ઓળખ આપવા માટે 'સુરત પાસેનું નવસારી' કહેવું પડતું હતું. પરંતુ મારા આ પ્રોજેક્ટ દ્વારા, હું નવસારીને વિશ્વના નકશા પર એક અલગ ઓળખ અપાવવા માંગુ છું. જેમ મેડિકલ ટુરિઝમ પ્રખ્યાત છે, તેમ નવસારી મેરેજ ટુરિઝમ માટે જાણીતું બને તેવી મારી ઈચ્છા છે. આ પ્રોજેક્ટ દ્વારા અમે લગભગ 4થી 5 હજાર લોકોને રોજગારી પૂરી પાડીશું. જેમાં લાઈટિંગ, મંડપ, ડેકોરેશન, કેટરિંગ અને હોટલ રૂમ્સ જેવી વિવિધ સેવાઓ સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે. અમારો ઉદ્દેશ્ય છે કે અમારા પોતાના વિકાસની સાથે શહેરનો પણ સર્વાંગી વિકાસ થાય. નવસારીમાં ધંધા-રોજગાર સારા ચાલે એ સમયની માગનવસારી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજેન્દ્ર દેરાસરિયા જણાવે છે કે, અહીં નવસારીમાં જેમને લગ્ન કરવા હોય તેવા પરિવારો માટે પણ એક મેરેજ ટુરિઝમ પ્રોજેક્ટ સ્થપાઈ રહ્યો છે. હાલમાં જ સંજય કાછિયાવાડીએ મોટા બિલ્ડર છે અને એ પણ આવો કંઈક આવો જ મોટો પ્રોજેક્ટ લાવી રહ્યા છે એવું જાણવા મળ્યું છે. અને એ એવો પ્રોજેક્ટ કે જેમાં મોટા-મોટા મુંબઈના, અમદાવાદના કે મોટા જે લોકો બહાર ડેસ્ટિનેશન મેરેજ કરતા હોય છે, એમના માટે આ જગ્યા બહુ સારી રહેશે એટલું એ રીતનું એ બનાવે છે. તો અહીંયા પણ આના માટે કંઈક એક મેઈન સુવિધા રેલવેની છે નવસારી ફરી ઉપર આવે, નવસારીમાં ફરી ધંધા-રોજગાર સારી રીતે ચાલે એવું થાય એ સમયની માગ છે.
ઝિમ્બાબ્વેની ધરતી પર ભારતની અંડર-19 ક્રિકેટ ટીમે અંગ્રેજોને વર્લ્ડકપની ફાઇનલમાં હરાવીને ભવ્ય જીત મેળવી હતી. આ માત્ર એક જીત જ નહોતી પણ યુવા ખેલાડીઓએ વિશ્વ ક્રિકેટ પર પોતાનું આધિપત્ય સાબિત કરીને બતાવ્યું છે. આ જીત સાથે ઇન્ડિયન ટીમે છઠ્ઠીવાર આ ખિતાબ જીતીને ઇતિહાસ સર્જ્યો છે. જો કે ભારતીય ટીમ માટે ફાઇનલ મેચ કરતાં પાકિસ્તાન સામેની સુપર સિક્સ સ્ટેજની મેચ ખૂબ જ કપરી રહી હતી કેમ કે આ મેચમાં વૈભવ સૂર્યવંશી, કેપ્ટન આયુષ મ્હાત્રે અને એરોન જ્યોર્જ ખૂબ જ સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. એવામાં ડગઆઉટ પર બેઠેલા 18 વર્ષીય ગુજ્જુ ખેલાડીને મિડલ ઓર્ડરમાં ટીમની કમાન સંભાળવા ક્રિઝ પર મોકલવામાં આવે છે. જે બાદ તેણે પાકિસ્તાની બોલર્સની ધોલાઇ કરીને નિર્ણાયક 68 રન બનાવ્યા… અંતે ઇન્ડિયાની જીત થઇ. જેના પછી દરેક ભારતીયના મોઢે એક જ નામ હતું......વેદાંત ત્રિવેદી. વેદાંત ત્રિવેદી મૂળ અમદાવાદનો છે અને તેણે 10 વર્ષની ઉંમરથી જ ક્રિકેટ કોચિંગની શરૂઆત કરી હતી. વિરાટ કોહલી વેદાંતનો રોલ મોડલ છે. ક્રિકેટર બનવાના જોયેલા સપનાંને આજે વેદાંતે લાખો ચાહકોની સામે પૂરું થતાં જોયું છે. અંડર-19 વર્લ્ડ કપમાં ભારતની જીત બાદ દિવ્ય ભાસ્કર વેદાંત ત્રિવેદીના ઘરે પહોંચ્યું હતું. જ્યાં તેના પિતા અલ્પેશ ત્રિવેદી અને માતા મિતા ત્રિવેદી સાથે એક્સક્લૂસિવ વાતચીત કરી હતી. વેદાંતના પિતા એન્જિનિયર છે જ્યારે માતા શિક્ષિકા છે. વર્લ્ડકપ ફાઇનલ વખતે શું થયું હતું?વેદાંતના પિતા અલ્પેશ ત્રિવેદીએ વર્લ્ડકપની ફાઇનલ મેચના દિવસનો ઘટના ક્રમ જણાવતાં કહ્યું, એ દિવસ એવો હતો કે આસપાસ કોઇ બોલાવે તો પણ તેમના પર ધ્યાન નહોતું, કંઇ ગમતું જ નહોતું. અમારું ફોકસ માત્રને માત્ર મેચમાં જ હતું પણ જ્યારે આપણી પહેલી ઈનિંગમાં 400 ઉપર સ્કોર બન્યો એ પછી થોડી શાંતિ થઇ અને અંતે અમે ફાઇનલનું એન્જોયમેન્ટ શરૂ કર્યું હતું. વેદાંત હાથમાં બેટ લઇને સોસાયટીમાં નીકળી પડતોવેદાંત નાનો હતો ત્યારે સામાન્ય બાળકની જેમ જ હાથમાં બેટ લઇને સોસાયટીમાં રમવા માટે નીકળી પડતો હતો કેમ કે તેને ક્રિકેટનો નાનપણથી જ એટલો બધો શોખ હતો. વેદાંતના પિતાએ કહ્યું, વેદાંત તેના એજ ગ્રુપ કરતાં પણ મોટા બાળકો સામે સારું ક્રિકેટ રમતો હતો. જ્યારે એ સમજણો થયો એટલે તેણે જીદ પકડેલી કે મારે પણ ક્રિકેટ કોચિંગમાં જવું છે એટલે તેની દસેક વર્ષની ઉંમર હતી ત્યારે તેને ક્રિકેટ એકેડમીમાં મૂક્યો હતો. માત્ર વેદાંત જ નહીં મને પણ ક્રિકેટનો ખૂબ જ શોખ છે. અમે જ્યારે તેને એકેડમીમાં મુક્યો તેના છએક મહિના પછી અમને લાગ્યું કે વેદાંત આમાં કંઇક સારું કરી શકશે એટલે તે વધારે સારી રીતે પ્રેક્ટિસ કરે તે પ્રકારનું આયોજન કરતાં હતા. ક્રિકેટ સાથે શિક્ષણ પણ જરૂરીતેના માતાએ રમતની સાથોસાથ વેદાંતના શિક્ષણ ઉપર પણ ધ્યાન આપ્યું હતું. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, શિક્ષણ દરેક માટે જરૂરી છે એટલે શિક્ષિકા તરીકે હું તેને કાયમ કહેતી કે ક્રિકેટની સાથે સાથે ભણતર પણ એટલું જ જરૂરી છે. જ્યારે તે બોર્ડમાં આવ્યો ત્યારે મેં તેને કહ્યું હતું કે તુ હાઇ ક્વોલિફિકેશન જેટલા માર્ક ન લાવ તો કંઇ નહીં પણ જેટલું જરૂરી છે એટલી તુ મહેનત કર અને શિક્ષણમાં પણ આગળ નીકળ તેવી મારી આશા છે. વેદાંતનો રોલ મોડલ વિરાટ કોહલીજ્યારે વેદાંતનું જુનિયર એજમાં ક્રિકેટ રમવાનું શરૂ થયું ત્યારથી વિરાટ કોહલી તેનો આદર્શ રહ્યો છે. જ્યારે ટેસ્ટ કે વન-ડે મેચ હોય અને તેમાં વિરાટ કોહલી રમતો હોય ત્યારે વેદાંત પણ તેનું નાનકડું બેટ લઇને ટીવી સામે ઊભો રહી જતો હતો. એ સમયે કોહલી મેચમાં જે પ્રકારે શોટ્સ મારે તેવી જ રીતે તે પણ અહીં શોટ્સ મારતો હતો. 6 વર્ષ પહેલાં સપનું જોયું હતુંતેના પિતાએ કહ્યું, વેદાંતે ક્રિકેટર્સને રમતા જોઇને જે પ્રેક્ટિસ કરી છે તેનું પરિણામ તેને ગ્રાઉન્ડ પર મળ્યું છે, એ પછી ઇન્ટર સ્કૂલની મેચ હોય કે પછી અમદાવાદ ડિસ્ટ્રીક્ટની ટીમમાં રહ્યો હોય, તેણે આ બધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. વેદાંત અંડર-19 વિશ્વકપ વિજેતા ભારતીય ટીમનો હિસ્સો છે પણ તેણે અહીં સુધી પહોંચવાનું સપનું છએક વર્ષ પહેલાં જોયું હતું. તેની ઇચ્છા હતી કે હું પણ દેશ માટે કંઈક કરું અને મારે 2026ના વર્લ્ડકપમાં ટીમમાં સ્થાન મેળવીને રમવું છે. નિષ્ફળતામાં હંમેશા માતા-પિતાનો સપોર્ટ મળ્યોદરેક સફળ ક્રિકેટરે પોતાના કરિયરમાં નિષ્ફળતાનો અનુભવ કર્યો હોય છે. આવા સમયે તેને હતાશા અને નિરાશા થતી હોય છે પણ વેદાંતના આવા સમયમાં તેના પિતા તેના મિત્ર બનીને સમજાવતાં હતા કે તેની મહેનત ક્યાં ઓછી પડી રહી છે. આવા સમયે કેવી રીતે કમબેક કરવું તેનું પણ મોટિવેશન આપતાં હતા. વેદાંતને મમ્મી તરફથી પણ પ્રોત્સાહન મળતું રહેતું. તેના માતાએ કહ્યું કે, નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે. ઘણીવાર તેનું પર્ફોર્મન્સ સારૂં હોય પણ કોમ્પિટિશન વધારે હોય. ટીમ પોતાની જરૂરિયાત પ્રમાણે ખેલાડી સિલેક્ટ કરે છે. સારૂ પર્ફોર્મન્સ હોવા છતાં વેદાંત નિરાશ થાય ત્યારે અમે તેને કહેતા કે તુ તારી પ્રેક્ટિસ ચાલુ જ રાખ, તારી ક્ષમતાને તુ જેટલી ધારદાર કરીશ તેનાથી જ તુ આગળ વધી શકીશ. ઓસ્ટ્રેલિયા ટૂર માટે પસંદગી થઇ તે ભાવુક ક્ષણતેના પિતા જણાવે છે કે, વેદાંત જ્યારે પહેલીવાર 2022માં ગુજરાત તરફથી રમ્યો એ અમારા માટે ગૌરવની ક્ષણ હતી પણ જ્યારે તેની ઓસ્ટ્રેલિયા ટૂર માટે પસંદગી થઇ અને ભારતીય ટીમની જર્સી પહેરીને ગ્રાઉન્ડ પર ઉતર્યો એ ક્ષણ અમારા માટે ખૂબ જ ભાવુક કરનારી હતી. વર્લ્ડકપ માટે નામ જાહેર થયું ત્યારે વેદાંત કારમાં હતોજ્યારે વર્લ્ડ કપની ટીમ માટે વેદાંતનું નામ ફાઇનલ થયું તે ક્ષણને યાદ કરતા તેના પિતાએ કહ્યું, એ મોમેન્ટ ખૂબ જ ભાવુક હતી. જે સપનું 7-8 વર્ષ પહેલાં જોયું હતું, એ ત્યારે પુરું થયું. આ સપનું અમારું હતું, વેદાંતનું હતું સાથે સાથે અમારા સમગ્ર પરિવારનું હતું. દેવાધિદેવ મહાદેવની વિશેષ કૃપા રહી કે ભારતે છઠ્ઠીવાર આ વર્લ્ડ કપ જીત્યો એટલે આ બધી વસ્તુઓ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. જ્યારે સ્ક્વોડ ડિક્લેર થઇ ત્યારે તમે ક્યાં હતા અને વેદાંતનું રિએક્શન કેવું હતું આ સવાલના જવાબમાં તેના પિતા જણાવે છે કે, વેદાંતે જ અમને સમાચાર આપ્યા કે પપ્પા આપણી ટીમ ડિક્લેર થઇ ગઇ છે અને મારું નામ સ્ક્વોડમાં છે. એ ટાઇમે અમે સાથે જ કારમાં હતા. હું કાર ડ્રાઇવ કરી રહ્યો હતો અને વેદાંત મારી બાજુમાં જ બેઠો હતો. તેના માતા કહે છે કે, એ ક્ષણ તો શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી. તેને વર્લ્ડકપ રમવાની ઇચ્છા હતી. એ ક્ષણ જ્યારે સાચી સાબિત થઇને નજર સામે આવે ત્યારે તેને વર્ણવી ન શકાય. પાકિસ્તાન સામેની મેચનો કિસ્સો તેના માતાએ કહ્યું કે, મેચના આગલા દિવસે મારે તેની સાથે વાત થઇ હતી ત્યારે મેં તેને કહ્યું હતું કે તારે કોઇ પ્રેશર લેવાની જરૂર નથી. કોચે તને જે ગાઇડન્સ આપ્યું છે તે પ્રમાણે તુ તારી નેચરલ ગેમ રમજે. જે થાય તે ભગવાન પર છોડી દેજે. ભગવાન જે કરશે તે સારૂ જ કરશે, તુ તારી રમત પર પૂરો ભરોસો રાખ. પાકિસ્તાનની સામેની મેચમાં જ્યારે આપણો ટૉપ ઓર્ડર ચાલ્યો નહીં ત્યારે વેદાંત ક્રિઝ પર આવ્યો હતો. એ સમયે તમે મેચ જોતા હતા તો તમારા મગજમાં શું ચાલતું હતું આ અંગે પૂછતાં તેના પિતાએ કહ્યું, ભારત-પાકિસ્તાનની મેચ હોય ત્યારે દરેક ભારતવાસીઓ દબાણ અનુભવતા હોય છે. 'પાકિસ્તાન સામેની મેચમાં આપણી શરૂઆત સારી હતી પણ 47 રનમાં 3 વિકેટ ગુમાવી હતી. આ પછી વેદાંતે વિહાન મલ્હોત્રા સાથે પાર્ટનરશીપ કરતાં ટીમને થોડી રાહત મળી હતી એટલે ત્યારે બધાને એવું જ હતું એકવાર ટીમ 225 રન સુધી પણ પહોંચી જાય. જેનો ફાયદો આપણને મળશે અને આપણે સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઇ જઇશું.' 'અંતે આપણી બેટિંગ લાઇન ખૂબ સારી હતી. છેલ્લે આપણા ઓલરાઉન્ડર્સે સારી બેટિંગ કરીને પાકિસ્તાનને એવો સ્કોર આપ્યો કે આપણે તેમને સરળતાથી મેચ હરાવી દીધી.' પાકિસ્તાન સામેની મેચ પહેલાં વેદાંત સાથે થયેલી વાતચીત અંગે તેના પિતાએ કહ્યું, જ્યારે વેદાંત બહાર ટૂરમાં રમતો હોય છે ત્યારે નોર્મલ વાત કરું છું. તેણે શું ખાધું, કેવી હેલ્થ છે, બહાર ક્યાં ફરવા ગયા, શું સારું જોવા જેવું છે, આવું જ પૂછું છું કારણ કે એક પિતા તરીકે ઇચ્છીએ કે તે દેશ-વિદેશમાં હોય ત્યારે તે જગ્યાને એક્સપ્લોર કરે એટલે તેના સિવાય મેચ વિશે કોઇ દિવસ કોઇ ચર્ચા કરી નથી. પાકિસ્તાન કે પછી વિદેશી ખેલાડીઓ આપણાં ખેલાડીઓને દબાણમાં લાવવા માટે સ્લેજિંગ કરતાં હોય છે તો પાકિસ્તાનની મેચ સમયે વેદાંતને આવો સામનો કરવો પડ્યો હતો કે નહીં એ અંગે અલ્પેશ ત્રિવેદીએ કહ્યું, એણે તો એટલું જ કહ્યું હતું કે કોઇએ સ્લેજિગં કર્યું હશે તો મને ખ્યાલ નથી કેમ કે હું મારા ઝોનમાં જ હતો. મેચ દરમિયાન સતત તેના મગજમાં એક જ વાત ચાલતી હતી કે કેવી રીતે 40 ઓવર સુધી મેચને લઇ જવી અને તે લગભગ 40મી ઓવરમાં આઉટ થઇને પાછો ફરી રહ્યો હતો એના અનુભવ વિશે વેદાંતે કહ્યું કે તેને તેના રોલથી સંતોષ હતો. દરેક ખેલાડીનું તેની જર્સીના નંબર સાથે ખાસ કનેક્શન હોય છે એવું જ કંઇક ખાસ કનેક્શન વેદાંતનું પણ પોતાની જર્સી નંબર સાથે જોડાયેલું છે. આ અંગે તેના પિતાએ કહ્યું કે, જ્યારે વેદાંતનો જન્મ થયો ત્યારે અમારા ટેનામેન્ટનો નંબર પણ 21 હતો અને તેની જન્મ તારીખ પણ 21 હતી. એ પોતાની જન્મ તારીખને ખૂબ જ લકી માને છે એટલે જ તે પોતાની ટી-શર્ટ માટે 21 નંબરની પસંદગી કરે છે. જ્યારે વેદાંતનો શરૂઆતનો તબક્કો હતો ત્યારે તો બેએક વર્ષ સુધી તેનું સવારનું જે સેશન હોય તેમાં તે જતો હતો. એ પછી તે સ્કૂલ જતો હતો, સ્કૂલમાંથી પાછા આવીને તે ઘરમાં જ પ્રેક્ટિસ કરતો હતો. જ્યારે તેનું ડિસ્ટ્રીક્ટ માટે સિલેક્શન થયું તો તેને સવારે સીબીસીએના કેમ્પમાં જવાનું થતું એટલે સવારના કોચિંગને તે સાંજ શિફ્ટ કરતો. જેમ જેમ તે આગળ વધી રહ્યો હતો અને પ્રોફેશનલ ક્રિકેટમાં આવ્યો એટલે તેના કોચિંગનો પણ સમય વધતો ગયો. હાલમાં તે દરરોજ 7 થી 8 કલાક પ્રેક્ટિસ કરે છે સાથે જ તેના ફિટનેસ બાબતે પણ એટલું જ ધ્યાન રાખે છે. અલ્પેશ ત્રિવેદીએ કહ્યું, વરસાદ હોય કે ઠંડી, રવિવાર હોય કે કોઇ તહેવાર હોય પણ વેદાંત 365 દિવસનો એથલિટ્સ છે. આઠ વર્ષમાં ક્યારેય એવું નથી બન્યું કે પ્રેક્ટિસ માટે અમારે તેને ઉઠાડવો પડ્યો હોય. તે ખૂબ જ ક્વીક લર્નર છે. વેદાંત ત્રિવેદી આજે ભલે આંતરરાષ્ટ્રીય લેવલના મેદાનમાં રમીને સૌના દિલોમાં છવાઇ ગયો છે પણ તેણે ક્રિકેટના કક્કાની શરૂઆત તેના ઘરની બહાર આવેલા પેસેજમાંથી કરી હતી. જ્યાં તે ક્રિકેટની કિટ પહેરીને તૈયાર થતો અને તેના પિતા અલ્પેશ ત્રિવેદી તેને બોલ નાંખતાં હતા. એ જગ્યાએ વેદાંતે ખૂબ જ એન્જોય કરી છે. આજે પણ સમય મળે ત્યારે તેના પિતા સાથે તે ત્યાં જ ક્રિકેટ રમે છે. સચિને કેવી રીતે કુલ રહેવું તેની ટિપ્સ આપીતેના પિતાએ કહ્યું કે, વેદાંત અને સમગ્ર ટીમ સાથે વીવીએસ લક્ષ્મણ, ઋષિકેશ અને સુનિલ સર હોય એટલે તેમનું તો માર્ગદર્શન અવારનવાર મળતું હતું પણ જ્યારે સચિન તેંડુલકર સાથે તેની વાત થઇ એનાથી તે ખૂબ જ ખુશ હતો. વેદાંતે મને કહ્યું હતું કે પપ્પા આજે સચિન તેંડુલકર સાથે મારી વીડિયો કોન્ફરન્સથી વાત થઇ હતી ત્યારે તેણે કહ્યું હતું કે હું હજી વધારે સારું કરીશ તો તેમને રૂબરું મળી શકીશ. આ દરમિયાન સચિને કેવી રીતે કુલ રહીને મેચ જીતી શકાય તે વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું.' વેદાંતના ડાયટ અને શિક્ષણ વિશે તેના માતાએ વાત કરી.'વેદાંતને જે રીતે માર્ગદર્શન મળતું તે રીતે અમે તેને ડાયટ આપતા હતા. અમે તેને કઠોળ, જ્યૂસ કે ડ્રાયફ્રૂટ્સ આપતા હતા. વેદાંત રાત્રે થાકીને આવ્યો હોય તો પણ હું તને કહેતી કે તારે આટલું ભણવાનું તો પૂરૂં કરવું જ પડશે, આટલું વાંચવું જ પડશે. ઘણીવાર હું તેને જૂના પ્રશ્નપત્રો પણ કાઢી આપતી અને તૈયારી કરાવતી.'
છેલ્લા 5-6 દિવસથી ગુજરાતમાં કલાકારોના નામની ચોતરફ ચર્ચા છે. ક્યાંક કલાકારોને સમાજ બહાર મુકી દેવાયા છે તો ક્યાંક કલાકારો માટે રાજકીય મંચ પરથી અપશબ્દોનો ઉપયોગ થયો. સામાજિક અને રાજકીય કાવાદાવા વચ્ચે કલાકારો જે રીતે નિશાન બન્યા છે તેનાથી કલાજગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ વિવાદ હવે એક નવા સ્તરે પહોંચ્યો છે. સૌથી પહેલાં વાત કરીએ બંધારણના કારણે સમાજ બહાર મુકાયેલા કલાકારોની. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજે પોતાનું અલગ બંધારણ બનાવ્યું છે. જેમાં સમાજને ખોટા ખર્ચાથી બચાવવા માટે કડક નિયમો બનાવ્યા છે. ડીસા તાલુકાના જાબડિયા ગામે એક લગ્ન પ્રસંગે વરઘોડો નીકળ્યો હતો. જેમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર જેવા કલાકાર પણ હતા. તેમના પર આરોપ છે કે ડીજે સાથે વરઘોડો કાઢીને તેમણે નવા બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. આના પછી ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને એક વર્ષ માટે સમાજમાંથી બહાર મુકવાનો નિર્ણય કરાયો હતો. આ નિર્ણયના પડઘા પડતા ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર ગબ્બર અને અર્જુનના સમર્થનમાં ખૂલીને બહાર આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ડીજે તો બંધ નહીં જ થાય. બીજીતરફ ગબ્બર અને અર્જુન ઠાકોરે પણ કહ્યું હતું કે અમે પૂછ્યા વગર આ નિર્ણય લેવાયો છે, અમે બંધારણના કોઇ નિયમોનું ઉલ્લંઘન નથી કર્યું. જગદીશ ઠાકોર બંધારણના સમર્થનમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજમાંથી બહાર કરવાના મુદ્દે અમે અલ્પેશ ઠાકોર અને ચંદનજી ઠાકોર જેવા નેતાઓનો મત જાણવા માટે તેમનો સંપર્ક કર્યો પણ તેમણે કોઇ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જો કે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે સમાજના બંધારણના સમર્થનમાં સૂર વ્યક્ત કર્યો. જગદીશ ઠાકોરે દિવ્ય ભાસ્કરને કહ્યું, હાલમાં જે એક મુદ્દો બન્યો છે તેની સમગ્ર જગ્યાએ ચર્ચા છે. હજારો લોકો જે બંધારણનો અમલ કરી રહ્યાં છે એ કોઇને દેખાતું નથી. હું કહેવા માંગુ છું કે જ્યાં સરકાર નશાબંધી મુદ્દે ફેલ ગઇ છે ત્યાં ગામે ગામ જઇ જે વ્યસન કરવાવાળા લોકો છે તેમને આ બંધારણ થકી સમજાવવાની વાત ખૂબ જ સારી રીતે ચાલી રહી છે. જો લોકલ લોકો પાસેથી રિપોર્ટ લઇએ તો આ લોકો ખૂબ જ બિરદાવાલાયક કામગીરી કરી રહ્યાં છે. હજારો લોકો આ નિયમનો અમલ કરી રહ્યાં છે તેની પણ વાત મોટા પાયે મીડિયામાં આવવી જોઇએ. ઠાકોર સમાજનું નવું બંધારણ વાંચવા અહીં ક્લિક કરો સમાજના બંધારણને બિરદાવવું જોઇએવિક્રમ ઠાકોરે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જેણે બંધારણ બનાવ્યું છે તેને જ આ બાબતે ખ્યાલ નથી. આ અંગે પૂછતાં જગદીશ ઠાકોરે કહ્યું, મારે ટિકા ટિપ્પણીમાં પડવું નથી. ગબ્બર ઠાકોરને બંધારણના નિયમ મુજબ સમાજમાંથી બહાર કરવામાં આવ્યાં છે પણ તેમણે નિવેદન આપ્યું હતું કે, અમને બોલાવ્યા વગર આ નિર્ણય લેવાયો છે. આ બાબતે પૂછતાં જગદીશ ઠાકોરે કહ્યું, લોકશાહીમાં બધાને પોતાની રીતે અને પોતાનો મત મૂકીને આગળ વધવાની છૂટ હોય છે. આ સામાજિક નિર્ણય છે કોઇએ માનવું, ન માનવું એ કક્ષા એમણે નક્કી કરવાની છે. જેને જરૂરિયાત છે તેવા લોકોએ આ નિર્ણય બનાવ્યો છે અને તેનું પાલન પણ લોકો કરી રહ્યાં છે. ઠાકોર સમાજના અગ્રણી અને કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે કલાકાર કે સિંગર હોય તેણે સમાજની વાતને ટેકો આપવો જોઇએ. અન્ય સમાજના કલાકારો તો વિરોધ નથી કરતાઃ બળદેવજીતેમણે કહ્યું, આ કોઇ કોર્ટ નથી પણ સમગ્ર ઠાકોર સમાજે ત્રણ જિલ્લાનું બંધારણ કર્યું છે. અમારું બંધારણ બન્યા પછી ચૌધરી અને રબારી સમાજે પણ બંધારણ બનાવ્યું છે. આ સમાજોમાં પણ ઘણા સિંગર્સ છે છતાં તેમણે ક્યારેય વિરોધ નથી કર્યો. કલાકારોએ સમાજની વાતને ટેકો આપવો જોઇએઃ બળદેવજી'અન્ય સમાજો ઠાકોર સમાજનું સારું બંધારણ બન્યું છે તેવી સારી વાતો કરતાં હોય તેવામાં અમારા સમાજના સિંગર કહે છે કે અમને સમાજમાંથી બહાર મૂક્યાં પણ અહીં એવી વાત ન હોય. આજે 21મી સદી તરફ આપણે આગળ વધી રહ્યાં છીએ તેમાં ક્યાંક અમારો સમાજ પાછળ છે આવામાં અન્ય સમાજની હરોળમાં અમારા સમાજને લઇ જવા આગેવાનો પ્રયત્ન કરતાં હોય ત્યારે કલાકાર હોય કે સિંગર હોય, તેણે સમાજની વાતને ટેકો આપવો જોઇએ.' 'કલાકારોને મોટા કરવામાં સમાજનો સિંહફાળો'બળદેવજીના મતે, કોઇ પણ મંત્રી હોય કે પછી પાર્ટીનો આગેવાન, કલાકાર હોય કે સિંગર એ વ્યક્તિ સમાજથી મોટી નથી, હંમેશા સમાજ જ મોટો છે કેમ કે આ બધાને મોટા સમાજ જ કરે છે. વિક્રમ ઠાકોરે કહ્યું છે કે નિયમો જેણે જાહેર કર્યા તેને પણ ખબર નથી આ અંગે બળદેવજી ઠાકોરને પૂછતાં તેમણે કહ્યું, મારે આ બાબતે બીજું કંઇ કહેવું નથી પણ ગેનીબેન મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને આ નિયમો ત્રણેય જિલ્લાના આગેવાનોએ મળીને તૈયાર કર્યા છે. જ્યારે લાખોની હાજરીમાં સમાજે તેમને વાંચવા આપ્યું છે એટલે કેવી રીતે કહી શકાય કે ગેનીબેનને તેની ખબર નથી? બાકી જે લોકો બોલ્યાં છે એ મિટિંગના સમયે હાજર હોત તો તેમણે આવું બોલવું ન પડ્યું હોત કે બેનને ખબર નથી. હવે વાત કલાકારો માટે બોલાયેલા અપશબ્દોની કેમ કે સામાજિક વિવાદની સાથે કલાકારો માટે બોલાયેલા અપશબ્દોનો મામલો પણ ગરમાયેલો છે. થોડા દિવસ પહેલાં મોરબીના ટંકારા તાલુકાના કલ્યાણપર ગામમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાને સંબોધન કરવા માટે સ્ટેજ પર કોંગ્રેસના રાષ્ટ્રીય સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઇ જાય છે ને અચાનક તેઓ કલાકારને આડે હાથ લેવાનું શરૂ કરે છે. તેમણે સ્ટેજ પરથી નિવેદન આપ્યું કે, બધા જ ગાયક કલાકારો આજ કાલ ----(અપશબ્દ) કરે છે… ભવાઇ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી….અદાણી ગુજરાતી. એ લૂંટે છે ભેગા થઇને …એને ગુજરાતી કહીને અમારું નાક ના કપાવો તમે. અદાણી અને અંબાણી ગુજરાતી કહેવાતા હોય તો ગુજરાતના બાળકોનું શિક્ષણ મફતમાં થાય, એના માટે સ્કૂલો અને કોલેજો ખોલો. એક હોસ્પિટલ 100 કરોડની ભૂજમાં બનાવી હતી તમારા અને મારા પૈસે, ભૂકંપ પછી એ પણ અદાણીએ લઇ લીધી. લાલજી દેસાઇના આ નિવેદન બાદ કલાકારોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. જેથી લાલજી દેસાઇએ માફી માગી લીધી હતી. દિવ્ય ભાસ્કરે લાલજી દેસાઇએ સ્ટેજ પરથી જે ગીતનો ઉલ્લેખ કરીને કલાકારો વિશે બફાટ કર્યો હતો તે ગીત જેણે ગાયું હતું તે કિંજલ દવેનો સંપર્ક કર્યો પણ તેના પિતા લલિત દવેએ કહ્યું કે, આ બાબતે અમે અજાણ છીએ. તેમણે કોઇપણ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કર્યો હતો. જેના પછી અમે પદ્મશ્રી હેમંત ચૌહાણનો સંપર્ક કર્યો તો તેમણે પણ આ બાબતે કોઇ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો. જ્યારે લોક કલાકાર રાજભા ગઢવી, લોક સાહિત્યકાર યોગેશ ગઢવી, સિંગર દેવ પગલી, લોક સાહિત્યકાર હકાભા ગઢવી અને અભિનેત્રી ભાવિની જોષીએ ઉગ્ર સ્વરમાં આ બફાટને વખોડ્યો હતો. તમારૂં નામ મોટું થતું હોય તો અમને ગાળો આપોઃ રાજભા ગઢવીલોક કલાકાર રાજભા ગઢવીએ દિવ્ય ભાસ્કરને કહ્યું, કોઇપણ ઘટના બને એટલે કલાકારોને ગાળો આપવાની શરૂ થઇ જાય છે. મેં તો હવે નક્કી જ કરી લીધું છે અને એકાદ જગ્યાએ બોલ્યો પણ છું કે જો અમને ગાળો આપવાથી તમારું ચાલતું હોય અને તમારી પાર્ટીમાં તમારું નામ થતું હોય તો અમને ગાળો પણ આપો. રાજભાએ આગળ કહ્યું કે, કલાકારો ભાજપના ગુણ ગાય છે તો તમે કોના ગુણ ગાવ છો એ કહોને પહેલાં..તમે વાતો કરો છો કે અમે ખપી જઇશું… અરે ખપી જવાના ઇતિહાસ જોયા છે? ખપી કોણ જાય? અમને કોઇ વાંધો નથી તમે જે પાર્ટીમાં હોય તેના વખાણ કરો. અમે તો દરેકના નામ લઇએ છીએઃ રાજભા'આજે કોઇપણ વાત આવે એટલે શોધતાં હોય કે કલાકારો ક્યાં ગયા. ભાજપમાં બધા મિત્રો છે એમની સાથે બેસતાં હોઇએ છીએ. અમે ક્યાંક તેમના નામ લેતા હોઇએ પણ એમ તો નથી કહ્યું ને કે, આ બહું મોટો દાતાર છે અને તેણે આમ કરી નાંખ્યું. બાકી તો પ્રોગ્રામમાં જે પણ આવે અમે તો બધાનું નામ લઇએ છીએ. ક્યારેય ન લીધું હોય તો બતાવી જુઓ.' રાજભાએ વધુમાં જણાવ્યું કે, એક દુઆ સાથે એટલું જ કહેવા માગુ છું કે દુનિયાની જેટલી પણ ભાષા છે અને જેટલી ભાષા આવડતી હોય, ત્રણ કાળનું જાણતો હોય એટલો વિદ્વાન હોય પણ તેનામાં વિવેક ન હોય અને ગમે તે વ્યક્તિને ગમે તે કહી દે તો તે વિવેક વગરનો વિદ્વાન કહેવાય. કોઇ ધર્મ વિરૂદ્ધ બોલે તો જાહેરમાં જવાબ આપુંઃ રાજભાતેમણે કહ્યું કે, કોઇ મારા વિશે કે કલાકારો વિશે કંઇ પણ બોલે ને તો ક્યારેય હું તેનો જવાબ સ્ટેજ પરથી નહીં આપું. કેમ કે સ્ટેજ પર અમને સારી વાતો અને ગીતો ગાવા માટે લોકો બોલાવતાં હોય છે. સમય વેડફાય એ યોગ્ય ન કહેવાય બાકી જો કોઇ ધર્મ ઉપર બોલે તો હું એને જાહેરમાં જવાબ આપું છું. 'માટલાં ઉપર માટલું' અને 'ચાંદ વાલા મુખડાં' જેવા હીટ ગીતો ગાનારા ગુજરાતી સિંગર દેવ પગલીએ દિવ્ય ભાસ્કરને કહ્યું, કોંગ્રેસના નેતા કલાકારો માટે ખૂબ જ ખરાબ શબ્દો જાહેર મંચ પરથી બોલ્યા છે. કોઇપણ કલાકાર વિશે આવું બોલવું એ ખરેખર ખૂબ જ નિંદનીય ઘટના છે. સિંગર દેવ પગલીએ કહ્યું કે, તમને કોઇ બોલવાવાળું નથી એટલે તમે ગમે તેમ બોલો છો. આજના કલાકારો, સાહિત્યકારો કે જે પણ લોક ગાયકો છે તે ભગવતીના અને માતાજીના અને વીર સપૂતોના વખાણ કરી રહ્યાં છે કાલે ઉઠીને તમે તેમને પણ ખરાબ બોલશો? એમને તમે કહેશો કે આમ ન બોલવું જોઇએ, આમ ન કરવું જોઇએ તમે એમને પણ આવી રીતે વખોડશો? ખરાબ બોલનારાને શરમ આવવી જોઇએઃ દેવ પગલી‘કલાકારો સરસ્વતી માતાજીના ગુણગાન ગાવાવાળા વ્યક્તિઓ છે, કલાકારો તો જ્યાં પણ પ્રસંગમાં જાય તેમના વખાણ અને વાહ વાહ કરવી એ ફરજમાં આવે છે. તમે આટલું ખરાબ રીતે બોલ્યાં છો તો તમને તો શરમ આવવી જોઇએ. આ જે શબ્દો તમે બોલ્યાં છો તેનાથી ખબર પડે છે કે તમારાં મનમાં અને પેટમાં શું દુઃખી રહ્યું છે.’ કલાકાર સનાતન ધર્મને સાચવીને બેઠો છેઃ હકાભાલોક સાહિત્યકાર હકાભા ગઢવીએ લાલજી દેસાઇના બફાટ વિશે કહ્યું, મેં એ નેતાના બફાટનો વીડિયો સાંભળ્યો છે. તેઓ કલાકાર વિશે ખૂબ જ ખરાબ બોલ્યાં છે અને કલાકારોને ગાળો પણ બોલ્યાં છે પણ કહી દઉં કે કલાકારોને ગાળો આપવી એટલે સંસ્કૃતિને ગાળો આપ્યાં બરાબર છે. કલાકાર એટલે સંસ્કૃતિ છે એ સનાતન ધર્મને સાચવીને બેઠો છે. આ એમનું મૂર્ખતાભર્યું નિવેદન છે. કલાની શરૂઆત જ ભવાઇથી થઇ હતીઃ હકાભા'નેતા એવું કહે છે કે કલાકારો ભવાઇ કરે છે તો ભવાઈ એ જ કલા છે. કલાની શરૂઆત ત્યાંથી જ થઇ હતી આવું નિવેદન આપીને તેમણે ભવાઇનું પણ અપમાન કર્યું છે. તમે કહો છો કે કલાકારો વખાણ કરે છે તો હું ઉદ્યોગપતિ, રાજકારણ, સમાજના અને જે કોઇ પણ બોલાવશે અને પૈસા આપશે તો તેના બે શબ્દો સારા બોલીશું. અમે કોઇનું ખરાબ નહીં બોલીએ.' 'તમને કલાકાર વિશે કંઇ પણ કહેવાનો કોઇ અધિકાર નથી. જો તમને કોઇ કલાકાર ન ગમતો હોય તો તેને તમે કહો કે આ કલાકાર બરાબર નથી. બધા કલાકારો તો કંઇ એક સરખા નથી હોતા ને? અમે કોઇને છરી બતાવીને પૈસા નથી પડાવતાં.' અન્ય કલાકારોએ પણ બળાપો કાઢ્યોલોક સાહિત્યકાર યોગેશ ગઢવીએ પણ પોતાના સોશિયલ મીડિયામાં આ નિવેદનને લઇને બળાપો કાઢ્યો હતો. તેમણે કહ્યું કે, ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે કોંગ્રેસના નેતા ગુજરાતના કલાકારો વિશે એલફેલ શબ્દોનો ઉપયોગ કરે છે પણ કલાકાર છું એટલે કહેવું પડે છે કે, અમે સાધનાની ઉપાસના કરવાવાળા છીએ. અમે વાણીના ઉપાસક છીએ અને સંસ્કૃતિના રખેવાળ છીએ. જે શબ્દોનો પ્રયોગ ઘરમાં કે બહાર જાહેરમાં નથી કરી શકતાં એવા શબ્દનો પ્રયોગ તમે ગુજરાત રાજ્યના કલાકારો માટે કર્યો છે. અભિનેત્રી ભાવિની જાનીએ કહ્યું, કોંગ્રેસના આ નેતા ભરી સભામાં કલાકારો માટે જેમ તેમ બોલી રહ્યાં હતા કે હવે તો એવા ગીતો નિકળ્યાં છે કે, અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી... તો એમાં ક્યાં ખોટું છે? આપણો ગુજરાતી જો એવરેસ્ટ પર જાય તો આપણે ગર્વ ન અનુભવીએ? તમે તમારી રીતે અનુભવો, અમારા કલાકારની આગવી અનુભૂતિ હોય. અમે અમારી લાગણી ભજવીને કે ગાઇને વ્યક્તિ કરીએ છીએ. અમને પ્રાઉડ છે કે અમારા ગુજરાતના લોકો છેક ક્યાં પહોંચ્યાં છે. આમાં શું ખોટું કર્યું? આ બન્ને વિવાદ હાલમાં ગુજરાતના સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં સૌથી વધુ ચર્ચાઇ રહ્યાં છે.
ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા મુંબઈ દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય તેલ દાણચોરી રેકેટનો પર્દાફાશ
સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાંથી તેલની હેરાફેરીમાં સંડોવણી ડિજિટલ સર્વેલન્સ અને દરિયાઈ કામગીરીનો ઉપયોગ કરીને ત્રણ જહાજોની જપ્તી, વધુ તપાસ માટે કસ્ટમ્સને સોંપાશે મુંબઈ - ભારતીય કોસ્ટ ગાર્ડે છઠ્ઠી ફેબુ્રઆરી ૨૦૨૬ના રોજ એક જટિલ દરિયાઈ-હવાઈ નેટવર્ક કેન્દ્રિત કામગીરી દ્વારા આંતરરાષ્ટ્રીય તેલ દાણચોરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ જહાજોએ સંઘર્ષગ્રસ્ત દેશોમાંથી સસ્તા તેલ અને તેલ આધારિત કાર્ગોેની મોટી માત્રામાં દાણચોરી કરવાની અને આંતરરાષ્ટ્રીય પાણીમાં મોટર ટેન્કરોમાં મધ્ય સમુદ્ર ટ્રાન્સફર દ્વારા નફો મેળવવાની પદ્ધતિ વિકસાવી હતી. આ સિન્ડિકેટમાં વિવિધ દેશોના હેન્ડલર્સનું નેટવર્ક હોય છે, જે દરિયાઈ જહાજો વચ્ચે વેચાણ અને ટ્રાન્સફરનું સંકલન કરે છે.
વ્યારાની આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે ‘ભારતીય જ્ઞાન પરંપરા – દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના વિધિ-વિધાન અને સંસ્કૃતિ’ વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોર સી. પોરિયાના મુખ્ય ઉદ્બોધન સાથે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ સેમિનારે વિદ્યાર્થીઓ અને સંશોધકોમાં આદિવાસી વારસા પ્રત્યે નવી દૃષ્ટિ વિકસાવી. કુલપતિ ડો. પોરિયાએ જણાવ્યું કે આદિવાસી સમાજની જીવનશૈલી સંપૂર્ણપણે પ્રકૃતિ સાથે જોડાયેલી છે. તેમની પરંપરાઓમાં વિજ્ઞાન, પર્યાવરણ જાળવણી, ગણિત અને ભૂમિતિના ઊંડા તત્ત્વો સમાયેલા છે. ખાસ કરીને વારલી ચિત્રકલા આદિવાસી સમાજની પ્રાચીન વૈજ્ઞાનિક સમજનો જીવંત પુરાવો છે. આવા સેમિનારો દ્વારા નવી પેઢીમાં આદિવાસી સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ વધશે અને પરંપરાગત જ્ઞાનનું સંરક્ષણ થશે.નાયબ દંડક વિજયભાઈ પટેલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતની ઓળખ તેની આદિવાસી અસ્મિતા સાથે ગાઢ રીતે જોડાયેલી છે. આદિવાસી સમાજની વિધિ-વિધાન અને રીત-રિવાજો માત્ર ધાર્મિક આસ્થા નહીં પરંતુ સામાજિક એકતાનું પ્રતીક છે. આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ કોંકણીએ પણ આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે પ્રેરક ઉદ્બોધન કર્યું.કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્ય ડો. હિતેન્દ્રસિંહ ખરવાસિયાએ સ્વાગત પ્રવચન કર્યું. મુખ્ય વક્તા તરીકે નાસિકની કોલેજના ડો. ભાગવત શંકર મહાલેએ મહત્વપૂર્ણ વ્યાખ્યાન આપ્યું. સાથે જ ડો. પુડલિક પવાર, ડો. જયંતીભાઈ ચૌધરી અને ડો. રાજેશભાઈ પટેલે વિષય નિષ્ણાત તરીકે પોતાના વિચારો રજૂ કર્યા. બે સત્રમાં યોજાયેલા સેમિનારમાં વિદ્યાર્થીઓએ પણ સંશોધન આધારિત પ્રસ્તુતિઓ કરી.કાર્યક્રમ દરમિયાન ‘વ્યુ ઓફ સ્પેસ રીસર્ચ જનરલ’ પુસ્તકનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ર.ફ. દાબુ કેળવણી મંડળના પ્રમુખ હસુભાઈ ભક્ત, ઉપાચાર્ય વસંત ગામીત, વિવિધ કોલેજોના આચાર્ય, પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
108ની ટીમ દ્વારા સરાહનીય કામગીરી:ડાંગમાં 108ની ટીમે રસ્તામાં કરાવી જોડિયા બાળકોની સફળ ડિલિવરી
ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં 108ની ટીમે દેવદૂત બનીને એક પ્રશંસનીય કામગીરી કરી છે. જિલ્લાના ઢાઢરા ગામના રહેવાસી ઈસતેરબેન અજયભાઈ ખાસીયા (ઉં.વ. 24) ને પ્રસૂતિની પીડા ઉપડતા 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. કોલ મળતા જ EMT પ્રકાશ પટેલ અને પાઈલોટ સુભાષ રાઠોડ તાત્કાલિક દર્દીના ઘરે પહોંચ્યા હતા અને તેમને હોસ્પિટલ લઈ જવા રવાના થયા હતા. રસ્તામાં ચીચીનાગાવઠા ગામ પાસે પ્રસૂતાને અસહ્ય પીડા ઉપડતા એમ્બ્યુલન્સને રસ્તામાં જ ઉભી રાખવાની ફરજ પડી હતી. બાળકોની નાળ વીંટળાયેલી હોવાથી સ્થિતિ ગંભીર હતી. જોકે, 108ની ટીમે અમદાવાદ હેડ ઓફિસના ડૉ. કૃષ્ણા સાથે ટેલિફોનિક સંપર્ક સાધી, તેમના માર્ગદર્શન હેઠળ સુરક્ષિત પ્રસૂતિ કરાવી હતી. પરિણામે, ઈસતેરબેને જોડિયા (જુડવા) બાળકોને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ માતા અને બંને નવજાત શિશુઓને નજીકના સીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં માતા અને બાળકો બંને સ્વસ્થ છે. 108ની ટીમે બતાવેલી સમયસૂચકતા અને કુશળતા બદલ પરિવારજનોએ તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
‘પ્રોટોટાઈપ ડિઝાઇન’ વર્કશોપ યોજાયો:તજજ્ઞોએ વિદ્યાર્થીઓને ઇનોવેશન અને આત્મનિર્ભરતાના પાઠ ભણાવ્યા
વાંસદા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજની આઇક્યુએસી કમિટી, એસએસઆઇપી તથા ઇનોવેશન ક્લબના સંયુક્ત ઉપક્રમે ‘પ્રોટોટાઈપ ડિઝાઇન’ વિષયક વર્કશોપ/વ્યાખ્યાનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ આચાર્ય ડો. વાય.જે. મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ તથા ઇનોવેશન ક્લબના કો.ઓર્ડિનેટર પ્રા. ડો. ગૌતમભાઈ ગાયકવાડના સુચારૂ સંચાલન હેઠળ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કોલેજના વિદ્યાર્થીઓમાં ઇનોવેશન અને આત્મનિર્ભરતા વિકસે તથા ભવિષ્યમાં નોકરી ન મળે તો પણ પોતાની વિચારશક્તિ અને સર્જનાત્મકતા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં રોજગારી પ્રાપ્ત કરી શકે તેવો આત્મવિશ્વાસ વિકસાવવાનો હતો. આ અવસરે ખેરગામ સરકારી કોલેજમાંથી ભૌતિકશાસ્ત્ર વિષયના અધ્યાપક તથા ઇનોવેશન ક્લબના કો.ઓર્ડિનેટર પ્રા. પ્રિયંકાબેન થોરાટ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. પ્રા. ડો. ગૌતમભાઈ ગાયકવાડે જણાવ્યું હતું કે, ‘એસએસઆઇપી અને ઇનોવેશન યોજના સરકારની મહત્વાકાંક્ષી પહેલ છે. વિદ્યાર્થીઓ પોતાના વિચારો, સમસ્યાઓ અને તેના ઉકેલને માર્કેટની જરૂરિયાત મુજબ ટીમ વર્કથી ઉત્પાદનમાં પરિવર્તિત કરી આત્મનિર્ભર બની શકે છે, જેમાં સરકાર સંપૂર્ણ સહાય પૂરી પાડે છે. મુખ્ય વક્તા પ્રા. પ્રિયંકાબેન થોરાટે જણાવ્યું હતું કે, ‘પ્રોટોટાઈપ મગજના વિચારોને પ્રેક્ટિકલ સ્વરૂપ આપે છે અને વિચારથી ઉત્પાદનમાં પરિવર્તન માટે સેતુરૂપ બને છે. તેમણે પ્રોટોટાઈપનો અર્થ, તેની આવશ્યકતા, ઉદ્દેશ, લાક્ષણિકતાઓ, ફાયદા તથા મર્યાદાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે સાથે પ્રેક્ટિકલ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓ ભવિષ્ય માટે કેવા વિચારો ધરાવે છે તે જાણવા એક નવતર પ્રયાસ પણ કરાયો હતો. આ કાર્યક્રમમાં આઇક્યુએસી કો. ઓર્ડિનેટર પ્રા. અજીતભાઈ પટેલ, પ્રા. ડો. કલ્પનાબેન પટેલ, પાયલ પટેલ સહિત કોલેજના અન્ય અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમનું સંચાલન પ્રા. ડો. નિમુબેન ચૌધરીએ અને પ્રા. દિપેશભાઈ કામડીએ આભારવિધી કરી હતી.
શાહિદ કપૂર અને રશ્મિકા મંદાના આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે
અમિત શર્માની આ ફિલ્મ એક રોમેન્ટિક-કોમેડી ફિલ્મ હશે મુંબઈ - શાહિદ કપૂર અને રશ્મિકા મંદાનાની જોડી એક રોમેન્ટિક - કોમેડી ફિલ્મમાં જોવા મળશે. એક રિપોર્ટના અનુસાર, અમિત શર્માની આગામી અનટાઇટ્ડ રોમેન્ટિક કોમેડીમાં લીડ રોલ કરશે.અમિત શર્મા અને શાહિદે હાલમાં જ કોકટેલ ટુનું શૂટિંગ પુરુ કર્યું અને આ પછી વધુ એક ફિલ્મમાં સાથે કામ કરવાના છે. એક રિપોર્ટના અનુસાર, આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં શરૃ કરવામાં આવે તેવી શક્યતા છે.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર અમેરિકા દ્વારા બહાર પાડવામાં આવેલ ભારતનો નકશાને લઈને હતા, જેમાં પીઓકે અને અક્સાઈ ચીનને ભારતના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. બીજા મોટા સમાચાર સલમાન ખાનની RSSના કાર્યક્રમમાં હાજરીને લઈને રહ્યા હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢમાં નક્સલવાદના મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક કરશે. 2. જાપાનમાં સામાન્ય ચૂંટણીને લઈ તમામ 465 બેઠકો પર મતદાન થશે. કાલના મોટા સમાચારો 1. પાકિસ્તાન-ચીન સામે અમેરિકાનું 'ગદ્દર':અમેરિકાએ PoK અને અક્સાઈ ચીનને ભારતના નકશામાં બતાવી દીધા; શાહબાઝ ને જિનપિંગ સમસમી ગયા ભારત અને અમેરિકાએ શુક્રવારે એક વચગાળાની ટ્રેડ ડીલનું ફ્રેમવર્ક જાહેર કર્યું. આ જાહેરાત સાથે અમેરિકી ટ્રેડ ઓફિસ (USTR)એ ઇન્ડિયન મેપ શેર કર્યો. આ મેપમાં આખો જમ્મુ-કાશ્મીર પ્રદેશ, જેમાં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (PoK) અને અક્સાઈ ચીન (ચીનના કબજા હેઠળનો વિસ્તાર) બતાવાયો છે, તેમને ભારતનો ભાગ દર્શાવવામાં આવ્યો છે. આ નકશો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો. અમેરિકા પહેલાના નકશાઓમાં PoK ને અલગથી દર્શાવતું હતું. આંતરરાષ્ટ્રીય મંચો અને પશ્ચિમી દેશોના સરકારી નકશાઓમાં પણ વિવાદિત ભાગોને અલગ રંગ અથવા ‘ડોટેડ લાઈન્સ’થી દર્શાવવામાં આવે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ચીન જોતું રહી ગયું અને ભારત બાજી મારી ગયું!:ભારત પર US એક્સ્ટ્રા ટેરિફ આજથી ખતમ, રશિયા પાસેથી ઓઈલ ખરીદી સામે નખાયેલો 25% ટેરિફ પણ હટાવાયો વૈશ્વિક અર્થતંત્રના માળખે ભારતે એક એવી 'માસ્ટરસ્ટ્રોક' ગેમ રમી છે કે ડ્રેગન (ચીન) જોતું જ રહી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની સીધી વાતચીત બાદ ભારત અને અમેરિકા વચ્ચે $30 ટ્રિલિયન (આશરે ₹2500 લાખ કરોડ)ના માર્કેટનું દ્વાર ખોલતો ઐતિહાસિક ટ્રેડ કરાર ફાઈનલ થઈ ગયો છે. આ સમજૂતી હેઠળ અમેરિકાએ ભારતીય સામાન પરના ટેરિફ (આયાત ડ્યૂટી) ને 50%થી ઘટાડીને સીધો 18% કરી નાખ્યો છે, જે ચીન સામે ભારતને બજારમાં બમણી મજબૂતી આપશે. આ ડીલ માત્ર આંકડાઓની માયાજાળ નથી, પરંતુ ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં સૌથી મોટું પગલું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. 'લાંબી, ગોરી સ્વીડિશ યુવતી એરેન્જ કરો..':જેફરી એપસ્ટીન અને અંબાણીની ચેટ સામે આવી; મિટિંગને 'મજેદાર' બનાવવા બંને મેનહટનમાં મળ્યા હતા યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા યૌન ગુનેગાર જેફરી એપસ્ટીન સંબંધિત દસ્તાવેજોમાંથી અનિલ અંબાણી સંબંધિત નવા ઘટસ્ફોટ સામે આવ્યા છે. આ દસ્તાવેજો 2017 અને 2019 દરમિયાન એપસ્ટીન અને ઉદ્યોગપતિ અનિલ અંબાણી વચ્ચેની વાતચીત સંબંધિત છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ વાતચીતમાં બિઝનેસ, વૈશ્વિક બાબતો અને મહિલાઓ અંગેનો સમાવેશ છે. 9 માર્ચ, 2017ના રોજ થયેલી વાતચીત દરમિયાન અનિલે એપસ્ટીનને પૂછ્યું- તમારું શું સૂચન છે? એપસ્ટીને જવાબ આપ્યો, મિટિંગને 'મજેદાર' બનાવવા માટે એક લાંબી સ્વીડિશ ગોરી યુવતી સારી રહેશે. અંબાણીએ જવાબ આપ્યો, ઓકે. એરેન્જ કરો. આ વાતચીત ત્યારની છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સલમાન ખાન RSSના કાર્યક્રમમાં પહોંચ્યા:મુંબઈમાં ભાગવતે કહ્યું- BJP સંઘનો રાજકીય પક્ષ નથી, અમે બધા ધર્મોનું સન્માન કરીએ છીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના 100 વર્ષ પૂરા થવા પર મુંબઈમાં શનિવારે આયોજિત કાર્યક્રમમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાન પણ સામેલ થયા. તેઓ ફિલ્મમેકર સુભાષ ઘાઈ અને ગીતકાર પ્રસૂન જોશી સાથે મંચની સામે બેઠા અને RSS પ્રમુખ મોહન ભાગવતનું ભાષણ સાંભળ્યું. આ કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ભારતમાં રહેનાર દરેક વ્યક્તિ હિંદુ છે. RSS કોઈના વિરુદ્ધ નથી અને ન તો તેને સત્તા કે પાવરની ઈચ્છા છે. સંઘ રાજનીતિમાં સીધા સામેલ નથી, જોકે સંઘના કેટલાક લોકો રાજનીતિમાં સક્રિય છે. ભાગવતે કહ્યું, ઘણા લોકો માને છે કે નરેન્દ્ર મોદી RSS ના કારણે વડાપ્રધાન છે. તેઓ એક પોલિટિકલ પાર્ટી ચલાવે છે, પરંતુ BJP એક અલગ સંસ્થા છે. તે RSS ની નથી, જોકે તેમાં અમારા સ્વયંસેવકો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. T20 વર્લ્ડ કપમાં ભારતની વિજયી શરૂઆત:USAને 29 રને હરાવ્યું; કેપ્ટન સૂર્યાની ફિફ્ટી, સિરાજની 3 વિકેટ ભારતે T20 વર્લ્ડ કપની શરૂઆત જીત સાથે કરી છે. શનિવારે છેલ્લી મેચમાં ટીમે અમેરિકાને 29 રનથી હરાવ્યું હતું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 162 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાની પહેલી 4 વિકેટ માત્ર 46 રનમાં પડી ગઈ હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 49 બોલમાં 84 રન બનાવીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. 162 રનના ટાર્ગેટનો પીછો કરતા અમેરિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 132 રન જ બનાવી શકી. શુભમ રંજને અને સંજય કૃષ્ણમૂર્તિએ 37-37 રન બનાવ્યા. જ્યારે મિલિંદ કુમારે 34 રન બનાવ્યા. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 3 વિકેટ લીધી. અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી. સંપૂર્ણ સમાચાર વાંચો 6. માયાભાઈ આહીરનો પુત્ર જેલ બહાર, ભગવદ્ ગીતા બતાવી:બગદાણાના ચકચારી પ્રકરણમાં 14 દિવસ બાદ જામીન, હસીને હાથ મિલાવ્યા અને કારમાં બેસી રવાના થયો બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ સહિત 6 આરોપીના શરતી જામીન મંજૂર થયા છે. જયરાજ આહીરની આજે 14 દિવસ બાદ જેલમુક્તિ થઈ હતી. જયરાજ જ્યારે જેલની બહાર આવ્યો ત્યારે તેના હાથમાં ભગવદ્ ગીતા જોવા મળી હતી. કારમાં બેસી રવાના થતી સમયે પણ જયરાજે ભગવદ્ ગીતા બતાવી હતી. જેલમાંથી બહાર આવી એક યુવક સાથે હાથ મિલાવતો જોવા મળ્યો હતો. બાલધિયા હુમલા કેસમાં જયરાજ આહીર, નાજુ કામળિયા, કાના ભીખાભાઇ કામળિયા, સંજય બેચરભાઈ ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયાની ગઈકાલે મહુવા કોર્ટમાં તેના વકીલ મારફત જેલમુક્ત થવા જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. અંબાજી યાત્રાધામના વિકાસમાં નવો અધ્યાય:CM ભૂપેન્દ્ર પટેલે ₹950 કરોડના ‘શક્તિ કોરિડોર’નું ખાતમુહૂર્ત અને 16 ફૂટ ઊંચા ‘અખંડ શક્તિ ત્રિશૂળ’નું અનાવરણ કર્યું યાત્રાધામ અંબાજીના ઇતિહાસમાં 7 ફેબ્રુઆરીએ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના અંબાજી ખાતે ₹950 કરોડના ‘શ્રી શક્તિ કોરિડોર’ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે જ અંબાજીના પ્રવેશદ્વાર સમા ત્રિશુળીયા ઘાટ પર 16 ફૂટ ઊંચા દિવ્ય “અખંડ શક્તિ ત્રિશૂળ”નું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું. હિમાલયની 1500 વર્ષ જૂની પૌરાણિક ઉર્જા હવે ગુજરાતની ધરા પર અવતરી છે. ઉત્તરકાશીમાં સ્થિત પૌરાણિક શક્તિ ત્રિશૂળની આ પ્રથમ પ્રતિકૃતિ છે. આ એ જ ત્રિશૂળની પ્રતિકૃતિ છે જેનાથી માતા દુર્ગાએ મહિષાસુરનો સંહાર કર્યો હતો. આધ્યાત્મિક મર્યાદા જાળવવા તેની ઊંચાઈ 16 ફૂટ રાખવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : પટનામાં પપ્પુ યાદવની ધરપકડ, 31 વર્ષ જૂનો કેસ:અડધી રાત્રે પોલીસ ઘરેથી લઈ ગઈ, સમર્થકોનો હોબાળો; સાંસદ બોલ્યા- મારી હત્યાનું કાવતરું વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : મલેશિયામાં મોદીનું સ્વાગત કરવા માટે PM ઇબ્રાહિમ પોતે ગયા:મોદીને તેમની કારમાં બેસાડ્યા, મોદીએ કહ્યું, આ તેમનો ભારતીયો પ્રત્યેનો પ્રેમ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : પાકિસ્તાનથી ઊડીને આવ્યું ફુગ્ગા સાથેનું બેનર:અમૃતસર એરપોર્ટ પર હાઇ એલર્ટ, રનવે પર ડ્રોન દેખાયું, 1 કલાક ઓપરેશન બંધ, 2 ફ્લાઇટ ડાઇવર્ટ કરવી પડી વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ટ્રમ્પે ઓબામા-મિશેલને 'વાનર' તરીકે દર્શાવ્યા, VIDEO:સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી ડિલિટ કર્યો, વ્હાઇટ હાઉસે કહ્યું, સ્ટાફે ભૂલથી શેર કર્યો હતો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ચાંદી આ અઠવાડિયે ₹94 હજાર ઘટીને ₹2.45 લાખ પર આવી:સોનું ₹14 હજાર ઘટીને ₹1.52 લાખ થયું, તમારા શહેરના સોનાના ભાવ જુઓ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : T-20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન મેચની આશા જાગી:શ્રીલંકા ક્રિકેટે કહ્યું- અમને રેવન્યુમાં નુકસાન થશે, PCBએ ખાતરી આપી- સરકાર સાથે વાત કરીશું વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : બુદ્ધિના દેવ બુધનું ગોચર!:વૃષભ જાતકોનું કરિયર ટનાટન, કર્ક રાશિ પર થશે પૈસાનો વરસાદ; મહિનાના અંતે કુંભ રાશિમાં રચાશે દુર્લભ 'ચતુર્ગ્રહી યોગ' વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ₹20 માટે 4 વર્ષની સજા, નિર્દોષ સાબિત થતા જ મોત ગુજરાતના બાબુભાઈ પ્રજાપતિને 20 રૂપિયાની લાંચ લેવાના ખોટા કેસમાં 4 વર્ષની સજા મળી હતી. તેઓ તેની વિરુદ્ધ 30 વર્ષ સુધી ગુજરાત હાઈકોર્ટના ચક્કર લગાવતા રહ્યા. બીજી તરફ, 4 ફેબ્રુઆરીએ જેવા હાઈકોર્ટે તેમને નિર્દોષ સાબિત કર્યા, તેના બીજા જ દિવસે હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. બાંગ્લાદેશથી ભાસ્કર : ‘જમાત જીતે કે BNP, ડરથી હિન્દુ ધર્મ નહીં છોડીએ’: મંદિરો પર હુમલા, હત્યાથી ગભરાટ, BNPને વોટ આપી શકે છે હિન્દુ-બૌદ્ધ-ક્રિશ્ચિયન 2. આજનું એક્સપ્લેનર: વૈભવ-આયુષને નેશનલ ટીમમાં ક્યારે તક મળશે? કોહલી-યુવરાજ અંડર-19 વર્લ્ડ કપથી જ સ્ટાર બન્યા; ભારતીય ક્રિકેટને કેટલાં વર્ષનો ટેલેન્ટ પુલ મળ્યો 3. ચાર લેયર અને વચ્ચે પાણીવાળું ગુજરાતનું સિટી: સિંગોપોરથી પણ મોટું મોદીનાં સપનાનું ધોલેરા, પહેલીવાર જુઓ અંદરનો ડ્રોન વ્યૂ, ખારાપાટ ભાલની કાયાપલટ 4. એક્સક્લૂસિવ : લોથલની જમીનમાંથી સોનાના કણ મળ્યા: 65 વર્ષ બાદ ડ્રોન સર્વે, હાઇટેક ટેક્નોલોજીથી ખોદકામ; હડપ્પન સાઇટને 3 ભાગમાં વહેંચી પુરાતત્ત્વવિદોએ સંશોધન શરૂ કર્યું 5. ગ્રાઉન્ડ રિપોર્ટ : સંદેશખાલી ગેંગરેપ- 2 પીડિતા પલટી, એક ગીતા પાઠ કરાવે છે: CBIને 50 ફરિયાદ મળી, પણ પીડિતાઓ ક્યાં; શાહજહાં, શિબુ અને ઉત્તમ જેલમાં બંધ કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: વૃષભ રાશિના જાતકો માટે ગ્રહની દશા અત્યંત અનુકૂળ, મિથુન રાશિના લોકોના કરિયરમાં સોનેરી ચમક રહેશે વાંચો સંપૂર્ણ રાશિફળ
નિયુક્તિ:બોર્ડની ધો.10-12ની પરીક્ષા માટે પાંચ ઝોનલ અધિકારીની નિયુક્તિ
ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તા.26 ફેબ્રુઆરીથી ધો.10 અને ધો.12ની બોર્ડની લેખિત પરીક્ષાનો આરંભ થવાનો છે ત્યારે પરીક્ષાના આયોજન માટે અધિકારીઓની ઝોનલ અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. ધો.10માં ત્રણ અને ધો.12 માટે બે ઝોનલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે. ભાવનગર ઉપરાંત મહુવા અને તળાજામાં ઝોન કચેરી રહેશે. ધો.10 માટે ભાવનગર શહેરમાં બે ઝોનલ અધિકારી રહેશે જેમાં મુક્તાલક્ષ્મી કન્યા વિદ્યાલય છે અને ત્યાં ઝોનલ અધિકારી તરીકે જી.જે.બારૈયા( આચાર્ય, સરકારી હાઇસ્કૂલ, નવાપરા)ની નિયુક્તિ કરાઇ છે. જ્યારે માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે ઝોનલ કચેરી છે જ્યાં યુવરાજસિંહ ઝાલા (સ.મા. શાળા, નેસવડ) અને મહુવામાં ઝોનલ કચેરી કે.જી.મહેતા કન્યા વિદ્યાલય ખાતે રહેશે જ્યાં ઝોનલ અધિકારી તરીકે જી.એલ.ડાંગોદરા(આચાર્ય, સરકારી હાઇસ્કૂલ, ગળથર) રહેશે. ધો.12માં ભાવનગર ખાતે ઝોનલ કચેરી માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે કાર્યરત રહેશે અને ત્યાં ઝોનલ અધિકારી તરીકે એસ.એમ.સૈયદ(આચાર્ય સ.મા.શાળા, બોરડી) રહેશે. તળાજા ખાતે મોડેલ સ્કૂલમાં ધો.12ની ઝોનલ કચેરી કાર્યરત રહેશે તેમાં ઝોનલ અધિકારી તરીકે પી.બી.મકવાણા (આચાર્ય મોડેલ સ્કૂલ, તલગાજરડા) કાર્યરત રહેશે તેમ ડીઇઓએ જણાવ્યું છે. ઝોનલ કચેરીની વ્યવસ્થા પરીક્ષાના સુચારૂ આયોજન માટે કરવામાં આવે છે જ્યાં દરરોજ પરીક્ષાના પેપર અને અન્ય વ્યવસ્થાનું સંકલન પણ કરવામાં આવે છે.
શિક્ષણ પદ્ધતિમાં આધુનિક ટેકનોલોજીનો સુમેળ:લાખણકાના શિક્ષકનો AIનો શાળા કક્ષાએ અનોખો પ્રયોગ
ભાવનગર જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલમાં વલભીપુર તાલુકાની લાખણકા શાળાના શિક્ષક દ્વારા ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ પર નવતર પ્રયોગ રજૂ કર્યો હતો. આ કૃતિએ શિક્ષણમાં AI ના ઉપયોગ દ્વારા 'ગોખણપટ્ટી' દૂર કરવાનો નવો રાહ ચિંધ્યો છે. જી.સી.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , સિદસર દ્વારા આયોજિત 11મા ઐતિહાસિક જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલમાં ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાની લાખણકા પ્રાથમિક શાળાએ પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. આ ફેસ્ટિવલમાં શાળાના શિક્ષક અમરજીતસિંહ ગિરવાનસિંહ પરમારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ: શિક્ષણનો સાથી શીર્ષક હેઠળ પોતાનું ઈનોવેશન રજૂ કર્યું હતું. શિક્ષણ જગતમાં કઠિન વિષયવસ્તુનું સરળીકરણ, મૂલ્યાંકન અને લોકભાગીદારી જેવી સમસ્યાઓના નિરાકરણના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ મેળામાં, લાખણકા શાળાનો પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ ઈનોવેશન દ્વારા શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગથી કેવા બદલાવ લાવી શકાય તે દર્શાવવામાં આવ્યું હતું.
ભાવનગર ખાતે રૂ. 4.83 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ડૉ. આંબેડકર સરકારી કુમાર છાત્રાલયના નવા બિલ્ડીંગનું લોકાર્પણ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ર્ડા. પ્રદ્યુમનભાઈ વાજાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતુ કે આજે સરકારી કુમાર છાત્રાલયનું લોકાર્પણ થઈ રહ્યું છે. આ સરકારી કુમાર છાત્રાલય (પી.જી.) નું લોકાર્પણ માત્ર એક ઈમારતનું લોકાર્પણ નહીં, પરંતુ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરના વિચારોને જીવંત રાખવાનો પ્રયાસ છે. દૂર-દૂરથી આવનારા ગરીબ વિદ્યાર્થીઓને રહેવા-જમવાની અને અભ્યાસની સગવડ મળે તે હેતુથી આ છાત્રાલય ઉપયોગી બનશે. બસના સમયપત્રક, રોજની અવરજવર જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે હોસ્ટેલ એકમાત્ર યોગ્ય સમાધાન હોવાનું અને હોસ્ટેલ માત્ર નિવાસ સ્થાન નહીં, પરંતુ જીવનના મૂલ્યો શીખવાની પાઠશાળા છે તેમ જણાવ્યું હતું. ડૉ. આંબેડકર સરકારી કુમાર છાત્રાલય કેમ્પસ, બસિલ પાર્ક હોટેલની બાજુમાં આવેલ છે. આ છાત્રાલયના નવા બિલ્ડીંગનું લોકાર્પણ કરીને મંત્રીએ હોસ્ટેલની સુવિધાઓનું નિરીક્ષણ કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે ધારાસભ્ય સેજલબેન પંડ્યા પણ જોડાયા હતા. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે વિધાર્થીઓ સારી રીતે ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે અંદાજે પાંચ કરોડના ખર્ચે સુવિધાયુક્ત છાત્રાલયનું નિર્માણ કરાયું છે. ભાવનગરના મેયર ભરતભાઈ બારડે જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજમાં સમાનતા, ન્યાય અને સશક્તિકરણનું સૌથી મોટું સાધન છે. આજે જે લોકાર્પણ થઈ રહ્યું છે તે અનેક વિદ્યાર્થીઓના સપનાઓને સાકાર કરવાનું માધ્યમ બનશે. કલેકટર ડૉ. મનીષકુમાર બંસલે આ હોસ્ટેલ 5 કરોડ રૂપિયાના ખર્ચે લગભગ 100 વિદ્યાર્થીઓ માટે રહેવાની, જમવાની તથા લાઇબ્રેરી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના લાભાર્થી વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં આગળ વધશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી.
મંથર ગતિથી કામગીરી:વલભીપુર ભાવનગર ફોર લેન માટે નવા બનતા પુલો છ વર્ષ થયા છતાં અધુરા..!
વલભીપુર ભાવનગર ફોર લેન માટે નવા બનતા પુલોના કામને છ વર્ષ થયા છતાં પુલના કામો હજુ અધુરા છે. જેથી જાહનચાલકો લાંબા સમયથી પરેશાની ભોગવી રહ્યાં છે. જયાં સુધી આ પુલોનું લીંકઅપ ફોરલેન સાથે નહીં થાય ત્યાં સુધી સાંકડા નાળાઓ ને કારણે ટ્રાફિક સમસ્યા રહેશે. ભાવનગર-અમદાવાદ હાઇવે પર આવતા નદી નાળા અને કોઝવે ઉપરના પુલોને ઉંચા બનાવાનું કામ કોવીડ-19 ના સમય ગાળા પહેલા શરૂ થયું હતું અને કામ શરૂ થતા કોરોના વાયરસ દરમ્યાન લોકા ડાઉન થતા કામો અધુરા મુકી દેવામાં આવ્યા છે. અલબત્ત, ફોર લેનનું કામ હાલમાં સારી ઝડપે ચાલી રહ્યું છે પરંતુ ઉંડવી ભોજપરા થી લઇ ઘાંઘળી અને ચમારડી વચ્ચે નવા નિર્માણધીન પુલોની સંખ્યા ચાર થી પાંચની છે જે પુલો પૈકી એક પણ પુલોનું કામ પૂર્ણ થયું નથી. અને લોખંડની સળીયાઓ 6 વર્ષની કાટ ખાઇ રહ્યાં છે. ત્યારે આ સળીયાઓ ઉપર અધુરૂ બાંધકામ જયારે પણ શરૂ કરશે ત્યારે તે કેટલું મજબુત રહેશે અને થશે તે સમય કહેશે.
કાયદાનો ભંગ:સિહોરમાં મોડી રાત સુધી વાગતા ડી.જે.ને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખલેલ
સિહોરમાં મોડી રાત સુધી વાગતા ડી.જે.ને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખલેલ પહોંચી રહી છે, આ સામે પોલીસ તંત્રના મૌનથી નગરજનોમાં નારાજગી ફેલાઇ છે. અત્યારે શિયાળામાં લગ્નની સિઝન પૂરબહારમાં ખીલી ઊઠી છે. અને બીજી તરફ આગામી સમયમાં ફેબ્રુઆરીના અંતમાં ધોરણ :10 ને 12ની બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે. લગ્નની સિઝનમાં લોકોને ડી.જે.ના તાલે નાચવાનો એક અનેરો આનંદ હોય છે. પણ આ આનંદ ક્યારેક શોકમાં ફેરવાઇ જતો હોય છે. ડી.જે.ના અવાજની તીવ્રતા એટલી ભયાનક હોય છે કે ક્યારેક કોઇકનું હૃદય બેસી જતું હોય છે. બીજી તરફ આજુબાજુના રહીશોની શાંતિમાં પણ ડી.જે. ખલેલ પહોંચાડે છે. યક્ષ સવાલ એ છે કે લોકોની શાંતિમાં ભંગ પાડનાર ડી.જે. સામે પોલીસની કોઇ જવાબદારી જ નહીં. આગામી દિવસોમાં ધોરણ :10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે. આ પરીક્ષા આ વિદ્યાર્થીઓના જીવનનો એક મહત્વપૂર્ણ ટર્નિંગ પોઇન્ટ હોય છે.આથી અત્યારે આ પરીક્ષાર્થીઓ 24 કલાકમાંથી 12-15 કલાક વાંચતા હોય છે. એમાંય રાત્રે અને વહેલી સવારે વાતાવરણ શાંત હોય છે આથી આ સમયગાળા દરમિયાન પરીક્ષાર્થીઓ વધારે વાંચવાનું પસંદ કરતા હોય છે. પરંતુ અત્યારે લગ્નગાળાની પણ સિઝન ચાલી રહી છે. આથી જેમના ઘેર પ્રસંગ હોય તેઓ મોડે સુધી ડી.જે. વગાડતા હોય છે. પરંતુ આ ડી.જે.આ ઘરની આજુબાજુ રહેતા અનેક બાળકો, વૃદ્ધો અને વિદ્યાર્થીઓની શાંતિમાં કેટલી ખલેલ પહોંચાડે છે એનો વિચાર કરતું જ નથી. સુપ્રીમ કોર્ટના આદેશનું ખુલ્લેઆમ ઉલ્લંઘનદેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમે કોર્ટે પણ રાત્રે 10 વાગ્યા પછી ડી.જે. વગાડવા પર પ્રતિબંધ મૂક્યો છે. આમ છતાં સિહોર શહેર અને ગ્રામ્ય પંથકમાં સરેઆમ તેનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. પોલીસ માત્ર મૂક પ્રેક્ષક બનીને આ બધું જોઇ રહી છે. જાણે કે પોતાની કોઇ જવાબદારી જ ન હોય. મોટા માણસોના ઘેર પ્રસંગ હોય,તો તેઓ પોતાની વગનો ઉપયોગ કરીને પણ ડી.જે.નો ઉપયોગ કરે છે. પરંતુ આ ડી.જે.કોઇની કારર્કિદી રોળી શકે છે એટલી સંવેદના લાવવી ક્યાંથી ?
ઉશ્કેરાયેલા શખ્સે તોડફોડ કરી આતંક મચાવ્યો:ચિરોડા ગામે પોલીસ વાનના ચાલક પર કોશ વડે હુમલો
જેસર ના ચિરોડા ગામે એક ઈસમ પોતાના ઘરે તોડફોડ કરતો હોય અને કોઈએ પોલીસને જાણ કરતા ઉશ્કેરાયેલ આ શખ્સે પોલીસ વાન અને પણ નિશાન બનાવી તેની પર ફૉસ વડે હુમલો કરી આતંક મચાવ્યો હતો. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ પણ ભાગ્યા હતા અને વાનના ડ્રાઇવર ઉપર પણ કોષ વડે હુમલો કરતા તેને પણ ગંભીર ઈજા થઈ હતી. જેસરના ચિરોડા ગામે રહેતા કુલદીપસિંહ દશરથસિંહ સરવૈયા નામનો શખ્સ પોતાના ઘરે તોડફોડ અને અન્યને મારવા દોડતો હોવાની જાણ પોલીસને કરાતા પોલીસ વાન ઘટના સ્થળે દોડી ગયું હતું. આ સ્થળે એકત્ર થયેલા લોકોને હટાવી પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ કેમ તોડફોડ કરે છે તેમ પૂછતા તેણેે ઉશ્કેરાઈ જઈ હાથમાં લોખંડની કોષ લઈ તેની પાછળ મારવા દોડ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ દોડીન દૂર થઈ જતા આ શખસે પોલીસની ગાડી પાછળ દોડી ગાડીની તોડફોડ કરી પોલીસ વાનના ડ્રાઇવર ભગીરથસિંહ સરવૈયા નીચે ઉતરતા તેની છાતીમાં ક્રોસ વડે હુમલો કરી તેમને નીચે પાડી દઈ ગંભીર ઈજા પહોંચાડી હતી. તેમજ બીકના કારણે અન્ય કોઈ તેને છોડાવવા જઈ શક્યું ન હતું. બાદ આ શખ્સ હાથમાં કોશ લઈ આ વિસ્તારમાં આટા મારવા લાગ્યો હતો.દરમિયાન પોલીસે એમ્બ્યુલન્સ ને બોલાવી ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા હતા. આમ તોફાન મચાવી રહેલ આરોપી સામે જેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સંગઠનમાં અસંકલન જોવા મળ્યું:ભાજપના નેતાઓના વિખવાદથી સંગઠનનું કોકડું ગૂંચવાયું
કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણી આડે ગણતરીના મહિના બાકી છે અને કોર્પોરેશનની બોડીની મુદ્દત પણ 30 દિવસમાં પૂર્ણ થાય છે. પરંતુ ભાવનગર શહેર અને જિલ્લા ભાજપ સંગઠનની રચના લોચામાં પડી હોવાથી જાહેર થવામાં વિલંબ થયો છે. શહેર સંગઠનમાં મહામંત્રી પદ માટે પોતાના માણસને મુકવાની ખેચતાણમાં ભાવનગર ભાજપના અસંકલનનો વિવાદ છેક પ્રદેશ કક્ષા સુધી પહોંચ્યો છે. જોકે, થોડા દિવસમાં જ ભાજપ શહેર જિલ્લાના સંગઠનની જાહેરાત થવાની શક્યતા છે. ભાવનગર કોર્પોરેશનની વર્તમાન ટર્મની આગામી 9મી માર્ચે મુદ્દત પૂર્ણ થવાની છે. તે પહેલા જ ફેબ્રુઆરીના અંતમાં બજેટ મંજૂર કરી નાખવાની પણ હિલચાલ શરૂ છે. આંગળીને વેઢે ગણાય તેટલા દિવસો બાકી હોવાથી પ્રજાના પ્રતિનિધિઓ જે નિયમિત કોર્પોરેશનને જતા ન હતા તેના આટાફેરા પણ વધી ગયા છે. અને આગામી ટર્મમાં ટિકિટ મળે કે ન મળે તેનો ખ્યાલ નહીં હોવાથી આ 30 દિવસમાં પોતાના વિસ્તારના અને પોતાના કામ પતાવવા માટે કોર્પોરેશનમાં ઓડિંગ જમાવી રહ્યા છે. જ્યારે ભાવનગર શહેર ભાજપ સંગઠનની નવી રચના કઠોડે ચડી ગઈ છે. શહેર ભાજપ પ્રમુખની 6 માર્ચ 2025ના રોજ નિમણૂક થયા બાદ 11 મહિના થવા છતાં હજુ સુધી સંગઠનની રચના થઈ શકી નથી. સંગઠનના હોદ્દા માટે પ્રદેશ ભાજપ દ્વારા ઓપચારિકતાઓ પણ પૂર્ણ થયાને લાંબો સમય થઈ ગયો હોવા છતાં કોઈ નિર્ણય પ્રદેશમાંથી થતો નથી. ખાસ તો ભાવનગર શહેર ભાજપમાં ત્રણ મહામંત્રી કઈ જ્ઞાતિના અને કઈ વિધાનસભામાંથી લેવા તે માટે સ્થાનિક નેતાઓમાં ભારે ગડમથલ છે. શહેર સંગઠન, ધારાસભ્ય અને સાંસદ વચ્ચે મહામંત્રીની પસંદગીમાં ભારે ખેંચતાણ ચાલી રહી છે. સંગઠનના મુખ્ય હોદ્દામાં પોતાના અંગત વ્યક્તિને ઘુસાડવા માટે નેતાઓના હઠાગ્રહથી સંગઠનની રચના ડહોળાઈ ગઈ છે અને સમગ્ર પ્રક્રિયામાં હુંસાતુંસી ઘર કરી ગઈ હોય તેવુ લાગે છે. પરંતુ ગણતરીના દિવસોમાં જ ભાવનગર શહેર જિલ્લા ભાજપ સંગઠનની રચના જાહેર થાય તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. ચાર મહાનગરના ભાજપ સંગઠન જાહેર ચારની રાહગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા સમયથી એક પછી એક મહાનગર અને જિલ્લાના ભાજપના સંગઠનની જાહેરાત કરવામાં આવી રહી છે. જુનાગઢ, જામનગર, વડોદરા અને ગાંધીનગર મહાનગરની જાહેરાત થઈ ગઈ છે પરંતુ સુરત, રાજકોટ, અમદાવાદ અને ભાવનગર મહાનગરની જાહેરાત થવાની બાકી છે. ક્ષત્રિય, કોળીમાંથી મન માન્યું પરંતુ પટેલ - બ્રાહ્મણમાં ખેંચતાણશહેર ભાજપના મહામંત્રી પદના મુખ્ય હોદ્દા માટે શહેર સંગઠન, ધારાસભ્ય અને સાંસદ તેમજ પૂર્વ પદાધિકારીઓ અને હોદ્દેદારો વચ્ચે છેલ્લા ઘણા સમયથી પોતાના વ્યક્તિને બેસાડવા માટે ખેંચતાણ ચાલી રહી છે. હાલમાં ક્ષત્રિય અને કોળી સમાજમાંથી તમામ આગેવાનો વચ્ચે મન મનાવી લીધું છે. પરંતુ બ્રાહ્મણ અથવા પટેલ સમાજમાંથી કોઈ એકને મહામંત્રી પદે લેવા માટે દરેકના મત મતાંતર અલગ અલગ છે. જેથી ભાવનગર શહેર સંગઠનની જાહેરાત અટકીને ઊભી છે.
યુનિ.ના કુલપતિને રજૂઆત કરાઈ:યુનિ. કાર્યાલયની સામે ભાવેણા સ્ટેટ વખતનું મ્યુઝિયમ બનાવો
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી કાર્યાલય સામે ભાવનગર સ્ટેટનું મ્યુઝિયમ બનાવવા અંગે યુનિ.ના કુલપતિને ભાવનગર યુવક કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી કાર્યાલયની સામે ભાવનગર સ્ટેટનું મ્યુઝિયમ બનાવવામાં આવે તેવી યુવક કોંગ્રેસની માંગણી છે. કુલપતિને આ રજૂઆતમાં જણાવાયું છે કે ઈતિહાસ મુજબ ભારતની આઝાદી સમયે અખંડ ભારત માટે સૌ-પ્રથમ રાષ્ટ્ર માટે ભાવનગરના રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગર રાજ્ય સમર્પિત કર્યું હતું. યુનિવર્સીટી ખાતે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ અને ગુજરાત અને ભારતની વિવિધ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ, પ્રોફેસરો ભાવનગરની મુલાકાતે આવે ત્યારે યુનિવર્સીટી સામે જો ભાવનગર સ્ટેટનું મ્યુઝિયમ હોય તો તે ભાવનગરનો ઈતિહાસ સમજી-જાણી શકે તે માટે મ્યુઝીયમ બનાવવા યુવક કોંગ્રેસની માંગણી છે તેમ ભાવનગર શહેર યુવક કોંગ્રેસના મહામંત્રી ગિરિરાજસિંહ વાળાએ જણાવ્યું છે.
વીજચોરી ઝડપાઇ:ભાવનગર સર્કલમાંથી 2.27 કરોડની વીજચોરી ઝડપાઇ
GUVNLની કોર્પોરેટ ડ્રાઈવમાં છેલ્લા એક સપ્તાહમાં PGVCL ભાવનગર સર્કલમાંથી કુલ રૂ.2.27 કરોડની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. PGVCL ભાવનગર સર્કલમાં છઠ્ઠા દિવસે GUVNLની કોર્પોરેટ ડ્રાઈવમાં મહુવા ડિવિઝન નીચેના મહુવા અને જેસર તાલુકાના વિસ્તારોમાં વીજ ચેકિંગના દરોડા પાડવામાં આવ્યા હતા. PGVCLના મહુવા ડિવિઝન નીચે આવતા મહુવા ટાઉન, બગદાણા, જેસર, મહુવા રૂરલ-2 અને નેસવડ સબ ડિવિઝન નીચેના ગામોમાં વીજ ચેકિંગની કાર્યવાહીમાં રૂ.32.07 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. વીજ ચેકિંગના દરોડામાં વિવિધ શ્રેણીના મળી કુલ 423 વીજ જોડાણની તપાસમાં 77 ગ્રાહકોને વીજચોરી કરતા ઝડપી લેવામાં આવ્યા હતા. PGVCL મહુવા ડિવિઝનમાં વીજ ચેકિંગના દરોડામાં મહુવા અને જેસર તાલુકામાં આવતા મહુવા શહેર ઉપરાંત મોણપર, જેસર, રાણીગામ, દાઠા અને નેસવડ ગામમાં વીજ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. વીજ ચેકિંગની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 11 એસ.આર.પી. જવાન, 7 GUVNL પોલીસ અને 6 લોકલ પોલીસનો કાફલો તૈનાત કરવાની સાથે દરોડાની સમગ્ર કામગીરીનું 4 વિડિયોગ્રાફર દ્વારા વિડિયોગ્રાફી કરવામાં આવી હતી. PGVCL મહુવા ડિવિઝન નીચેના વિસ્તારોમાં PGVCLની કોર્પોરેટની 3, સ્થાનિકની 20 અને GUVNLની 12 ટીમો મળી કુલ 35 ટીમોના જંગી કાફલા સાથે ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. મહુવા અને જેસર તાલુકામાં વીજ ચેકિંગની કાર્યવાહીમાં 376 રહેણાંકી, 22 વાણિજ્ય અને 25 ખેતીવાડી શ્રેણીના મળી કુલ 423 વીજ જોડાણની તપાસ કરવામાં આવી હતી. જેમાં 67 રહેણાંકી, 4 વાણિજ્ય અને 6 ખેતીવાડી શ્રેણીના મળી કુલ 77 વીજ જોડાણમાંથી ગ્રાહકોને વીજચોરી કરતા પકડી પાડવામાં આવ્યા હતા. છ દિવસમાં ક્યાં ડિવિઝનમાંથી કેટલી વીજચોરી ઝડપી
સન્ડે ફોટો સ્ટોરી:63 દિવસની સઘન સારવારથી 4 અપરિપકવ બાળકોને મળ્યું નવજીવન
4થી ડિસેમ્બર-2025ના રોજ કુદરતનો કરિશ્મા ગણી શકાય તેવી ઘટનામાં દોઢ દાયકા સુધી નિઃસંતાન રહેલા દંપતિ પર કુદરત મહેરબાન થતા તળાજા તાલુકાના ભાલર ગામની મહિલાને IVF પદ્ધતિ દ્વારા ગર્ભધારણ થતા અતિ કુમળા, અપરિપક્વ, અધૂરા મહિને ખૂબ જ ઓછા વજન વાળા ચાર નવજાત શિશુઓને જન્મ આપ્યો હતો. અધૂરા મહિને જન્મેલા ચાર નવજાત બાળકોને સર ટી. હોસ્પિટલ બાળરોગ વિભાગના વડા બાળ આરોગ્ય નિષ્ણાત ડૉ. મેહુલ એમ. ગોસાઈ સહિતના તબીબોની 63 દિવસની મહેનત અને આધુનિક સઘન સારવાર બાદ આજે સંતોષકારક અને તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે ની પરિસ્થિતિમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે ત્યારે તબીબી ટીમ તથા પરિવારજનો સાથે ખુશીની ક્ષણ કેમેરામાં કેદ થઈ હતી.
આગોતરૂ આયોજન:શિવરાત્રીના મેળામાં જવા ભાવનગરમાંથી 40 બસો દોડાવાશે
જૂનાગઢમાં મહાશિવરાતત્રીના યોજાનારા મેળાને લઈ રાજ્ય સરકાર દ્વારા સુચારૂ પગલાં લેવાયા છે તેમજ મહાશિવરાત્રી ના મેળામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. આ વર્ષે પણ શ્રદ્ધાળુઓ માટે સરકાર દ્વારા અનેક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને એસ. ટી. વિભાગ દ્વારા પણ અનેક બસોનું સંચાલન કરવામાં આવશે. ભાવનગર ડિવિઝન દ્વારા પણ મેળામાં જવા માટે 40 બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં ગિરનારની ગોદમાં આગામી તારીખ 11 થી 15 ફેબ્રુઆરી સુધી વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી નો મેળો યોજવાનો છે. મહાશિવરાત્રી ના મેળામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ લાભ લે છે. આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા પણ પૂરજોશમાં તડામાર તૈયારી ઓ કરવામાં આવ્યું છે. અને સમગ્ર રાજ્યમાંથી સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે મોટી સંખ્યા માં બસો નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગર એસ.ટી.ડિવિઝન દ્વારા 40 બસો જૂનાગઢ ખાતે દોડાવવામાં આવનાર છે. જેમાં સૌથી વધુ 20 જેટલી બસો ભાવનગર એસ. ટી. ડેપોમાંથી મૂકવામાં આવશે. ખાનગી વહાણો દ્વારા ભાડાઓ વધારી દેવામા આવે છે ત્યારે એસ. ટી વિભાગ દ્વારા વધુમાં વધુ શ્રદ્ધાળુઓ સરકાર બસનો લાભ લે તેવી અપીલ પણ કરવામાં આવી છે. તદુપરાંત ભાવનગર ડિવિઝન ની 15 જેટલી બસો જૂનાગઢ ડિવિઝન ની ફાળવાઈ છે. આ સાથે જો શ્રદ્ધાળુઓનું સંખ્યા બળ વધશે તો હજુ પણ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવશે તેમ એસ.ટી.ના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ વર્ષે શિવરાત્રીનો મેળો ભવ્યતાપૂર્વક યોજાવાનો હોય અત્યારથી જ ભાવિકોમાં અનેરો ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એસ.ટી.ના 8 ડેપોમાં 40 બસો દોડાવાશે
સોના-ચાંદીના ભાવ રોજ કૂદકેને ભૂસકે બદલાય રહ્યા છે અને અપ-ડાઉનની સર્કિટ પણ લાગી રહી છે. ગત વર્ષની સરખામણીમાં સોનાના ભાવ તો ડબલથી વધુ થઈ ગયા છે. આ સ્થિતિમાં બજારના નિયમ મુજબ તો જેમ ભાવ વધે તેમ ખરીદી-ડિમાન્ડ ઘટે એમ થાય પરંતુ સુરતમાં ઉલટું થઈ રહ્યુ છે. વર્ષ 2024ની સરખામણીમાં સોનુ-ચાંદીનું વેચાણ લગભગ બમણું થઈ ગયુ છે. ગત વર્ષે જ્યાં 70 કરોડનું વેચાણ થયુ હતુ ત્યાં આ વખતે 2025માં 160 કરોડથી વધુનું વેચાણ થયુ છે. જીએસટી વિભાગને આ વેચાણ પર ટેક્સ પણ 48 કરોડથી વધુનું મળ્યુ છે. ત વર્ષે સોનાનો સરેરાશ ભાવ 79 હજાર હતો, આજે 1.63 લાખ છે શહેરમાં 200થી વધુ વેપારી જીએસટીના જે એચએસએન કોડમાં સોના-ચાંદી અને હીરાના વેપારીઓનો સમાવેશ થાય છે તેની સંખ્યા 200થી વધુ છે. આ ઉપરાંત જિલ્લામા પણ 70થી વધુ વેપારીઓ છે. અધીકારી સૂત્રો કહે છે કે સોના-ચાંદીના વેપારીઓએ જે વેચાણ થાય તેની પર ત્રણ ટકા ટેક્સ ભરવાનો હોય છે. એટલે કે ફાઇનલ બિલ પર લોકો પાસેથી ત્રણ ટકા જીએસટી વસુલવામા આવે છે. વર્ષ 85 કરોડથી વધુનુ વેચાણ હતુ જેની પર 25 કરોડ જેટલો ટેક્સ આવ્યો હતો. જ્યારે વર્ષ 2025માં તેમાં 160 કરોડથી વધુનુ વેચાણ થયુ છે. જેની પર 48 કરોડ જેટલો ટેક્સ આવ્યો છે. સોના-ચાંદીના જે ડેટા વિભાગ પાસે છે તેના કરતા માર્કેટમાં વેચાણ વધુ હોવાની આ આંકડાઓ પરથી લાગી રહ્યુ છે આથી કેટલાંક જ્વેલર્સ વિભાગને જરૂરી ડેટા આપી રહ્યા નથી એની પણ પ્રતિતિ થઈ રહી છે. એટલે જે વેચાણ થાય છે તે ચોપડા પર બતાવવામા આવતુ નથી. ખરીદીનો પર્પઝ પણ અલગ હોય છેલોકો બે રીતે ખરીદી કરે છે. ઘરમાં પ્રસંગ હોય ત્યારે અથવા તો રોકાણ કરવુ હોય. સામાન્ય રીતે સોનાના ભાવ વધે તો લોકો ખરીદી ટાળવાની જગ્યાએ જરૂરિયાત ઘટાડીને પણ પ્રસંગ માટે ખરીદી કરતા હોય છે. ભાવ સતત વધતા ગયા તો બની શકે લોકો આ તરફ વળે. બીજા એ લોકો છે જે રોકાણ માટે કરતા હોય છે. - દીપ ઉપાધ્યાય, સી.એ.
પાલડીમાં ક્લિનિક ધરાવતા તબીબને હની ટ્રેપમાં ફસાવીને પૈસા પડાવવાનું ષડ્યંત્ર પકડાયું છે. ડૉક્ટર પાસેથી રૂ. 5 હજાર પડાવ્યા બાદ 40 હજાર માગીને સમાજ-મિત્રોના ગ્રૂપમાં ન્યૂડ ફોટો-વીડિયો વહેતાં કરવાની ધમકી આપી હતી. રોજ મળી રહેલી ધમકીથી ત્રસ્ત ડૉક્ટરે ફરિયાદ નોંધાવતાં પાલડી પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ ક્લિનિકના સીસીટીવી કૅમેરા હેક કરી, અસલ વીડિયોમાં ચેડાં કરીને ડૉક્ટર ક્લિનિકમાં જ બોડી સમાજ કરાવતા હોવાના વીડિયો બનાવ્યા હતા. પાલડીમાં ક્લિનિક ધરાવતા 49 વર્ષના સીરાજભાઈ (49) (નામ બદલ્યું છે)ને 11 જાન્યુઆરીએ રાતે 11 વાગ્યે વોટસએપમાં એક વીડિયો આવ્યો હતો. તેમાં 27 માર્ચ, 2025એ બપોરે 3.25 વાગ્યે ડૉક્ટર ક્લિનિકની પર્સનલ કેબીનમાં યુવતી પાસે બોડી મસાજ કરાવી રહ્યા હતા. આ સાથે લખાણ લખ્યું હતું કે અમારી પાસે તમારા આવા ઘણા ન્યૂડ વીડિયો - ક્લિપ છે. વીડિયો ડિલીટ કરવાના રૂ. 35 હજાર થશે. સાથે જ આ વીડિયો સમાજ-મિત્રોના ગ્રૂપમાં મોકલીને બદનામ કરવાની ધમકી આપી હતી. એક ક્યુઆર કોડ સ્કેનર પણ મોકલ્યું હતું પરંતુ કોઈ મજાક કરતું હોવાનું માનીને પૈસા મોકલ્યા ન હતા. ત્યાર પછી બદનામ કરવાની ધમકી આપતાં ડૉક્ટર ગભરાઈ જતાં તેમણે સ્કેનરમાં રૂ. 5 હજાર મોકલ્યા હતા. એ પછી રૂ. 40 હજાર માગ્યા હતા. આ અંગે ડૉક્ટરે મિત્રોને વાત કરતાં તેમને સાથે રાખીને ડૉક્ટરે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કૅમેરા કેવી રીતે હેક કર્યા, વીડિયોમાં ચેડાંની તપાસ શરૂ કરાઈપોલીસ કહે છે, એક આરોપીની અટકાયત કરાઈ છે પણ ષડ્યંત્રમાં અન્યોની સંડોવણી હોઈ શકે છે. આરોપીએ કૅમેરા કેવી રીતે હેક કર્યા અને વીડિયોમાં ચેડાં કરીને ન્યૂડ વીડિયો કેવી રીતે બનાવ્યા તે દિશામાં તપાસ શરૂ કરી હતી. ફેસબુક પેજનો ફોટો મોકલીને ગઠિયાએ વિઝિટ કરવા કહ્યું હતુંઆરોપીએ ડૉક્ટરને ફેસબુક પેજનો ફોટો મોકલીને વિઝિટ કરવા કહ્યું હતું. ડૉક્ટરે વિઝિટ કરતાં તેમાં ક્લિનિકનું નામ અને મોબાઇલ નંબર લખેલો હતો. ત્યાં ડોક્ટરને 3 વીડિયો પણ હતા.
ગોઝારો અકસ્માત સર્જાયો:રોંગસાઇડમાં આવેલું એક્ટિવા અથડાતાં બાઇકચાલકનું મોત, પત્નીને ગંભીર ઈજા
બારેજા બ્રિજ પાસે રોંગસાઇડમાં પુરપાટ ગતિએ આવી રહેલા એક્ટિવાચાલકે બાઇકને ટક્કર મારી હતી. આથી બાઈકસવાર દંપતી પટકાતાં પતિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે ઈજાગ્રસ્ત પત્નીને હૉસ્પિટલ ખસેડાઈ હતી. આ અંગે અસલાલી પોલીસે ફરાર એક્ટિવાચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન દંપતી મોરજ ગામથી લગ્નપ્રસંગ પૂર્ણ કરીને બાપુનગર ઘરે જઈ રહ્યા હતા. બાપુનગરના ભરતભાઈ પટેલ 5 ફ્રેબ્રુઆરીએ પત્ની ભાવનાબહેન સાથે બાઈક લઈને સંબંધીને ત્યાં લગ્નપ્રસંગ હોવાથી મોરજ ગામ ગયા હતા. રાત્રે પરત આવી રહ્યા હતા ત્યારે બારેજા બ્રિજ પાસે સર્વિસ રોડ પર રોંગસાઇડમાં એક્ટિવા ચાલક પુરપાટ ગતિમાં આવ્યો હતો અને બાઈકને ટક્કર મારી હતી. આથી ભરતભાઈ અને તેમનાં પત્ની પટકાયાં હતાં. ભરતભાઈને માથામાં ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે ભાવનાબહેનને પગના ભાગે ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત બાદ એક્ટિવા ચાલક ફરાર થઈ ગયો હતો. આ મામલે અસલાલી પોલીસે એક્ટિવા ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 10 અકસ્માતે 1 અકસ્માત રોંગસાઈડના કારણે થાય છેવર્ષ 2025માં શહેરના અલગ અલગ વિસ્તારોમાં કુલ 1427 અકસ્માતો સર્જાયા હતા. જે અકસ્માતો પૈકી 148 અકસ્માતો રોંગસાઈડના કારણે જ થયા હતા. એટલે કે દર 10 અકસ્માતે એક અકસ્માત રોંગસાઈડના કારણે થઈ રહ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા રોંગસાઈડની અલગ અલગ ડ્રાઈવનું આયોજન કરીને કુલ 1.77 લાખથી વધુ કેસ કરીને 36.31 કરોડનો દંડ ફટકાર્યો છે. છતા લોકો રોંગસાઈડમાં વાહન ચલાવી રહ્યા હોવાથી અકસ્માત થઈ રહ્યા છે.
બાળકો અને યુવાનોમાં વધતા આંખના રોગો અંગે શહેરમાં બે દિવસીય કોન્ફરન્સ યોજાઈ છે. તેમાં થયેલી ચર્ચા પ્રમાણે મગજ અને હૃદયમાં બ્લોકેજ થતાં એટેક આવે છે, તેવી જ રીતે રેટીનામાં બ્લોકેજ થતાં આંખમાં એટેક આવે છે. આઇ સર્જન અને ઓલ ઇન્ડિયા ઓપ્થેલ્મોલોજિકલ સોસાયટીની કોન્ફરન્સના માનદ્ સચિવ ડૉ. જગદીશ રાણા જણાવે છે કે આંખમાં આવતા એટેકને તબીબી ભાષામાં ‘રેટીના વેઇન ઓક્લુઝન’ કહે છે. કોન્ફરન્સના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી અને વિટ્રીઓ રેટીના અને ઓક્યુલર ટ્રોમા સર્જન ડૉ. પાર્થ રાણા જણાવે છે કે ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ, હાઈ-બીપી સાથે નજીકથી ફોન જોવાની ટેવને કારણે આંખનો એટેક આવે છે. રેટીના વેન ઓક્લુઝન રોગ કેવી રીતે થાય છે? આ રોગના મહિને 4થી 5 કેસ આવે છેલક્ષણો શું છે? - અચાનક અથવા ધીમે ધીમે દૃષ્ટિ ઘટવી, ધૂંધળું દેખાવું, એક આંખમાં વધારે જોવા મળે. કોને થઈ શકે? - 50થી વધુ વયના હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ વધારે હોવું, ગ્લુકોમા, ધૂમ્રપાન, લોહી જાડું થવાની બીમારીના દર્દીને થઈ શકે. નિદાન કેવી રીતે થાય છે? - આંખની સંપૂર્ણ તપાસ, ઓસીટી સ્કેન, ફ્લોરેસીન એન્જિયોગ્રાફી, બ્લડ પ્રેશર, શુગર, કોલેસ્ટ્રોલ ટેસ્ટથી રોગનું નિદાન થાય છે, સારવારથી રોગ સંપૂર્ણ મટતો નથી, પણ દ્રષ્ટિ સુધારી શકાય. નુકસાન અટકાવવા રૂ. 1 લાખનું એકથી લઇને ચારથી પાંચ ઇન્જેક્શન દર મહિનાને અંતરે અપાતા હોય છે.
ઈગ્નુએ લોન્ચ કર્યો નવો કોર્સ:હવે ઘરે બેઠા ફેશન ડિઝાઈનર બનાશે, નવો ઓનર્સ કોર્સ લોન્ચ
ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) દ્વારા ફેબ્રુઆરી-2026ના સત્રથી 'બીએસસી (ઓનર્સ) ઇન ફેબ્રિક એન્ડ અપેરલ ડિઝાઇન' પ્રોગ્રામ લોન્ચ કરાયો છે. 4 વર્ષીય આ સ્નાતક કાર્યક્રમ ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ મોડમાં હોવાથી વિદ્યાર્થીઓ ઘરે બેઠા શિક્ષણ મેળવી શકશે. આ કોર્સનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ટેક્સટાઈલ અને ફેશન ડિઝાઈનિંગની ઊંડી સમજ આપી ઉદ્યોગ માટે તૈયાર કરવાનો છે. કુલ 120 ક્રેડિટના આ પ્રોગ્રામમાં પ્રેક્ટિકલ સ્કીલ્સ પર વિશેષ ભાર મુકાયો છે. મલ્ટિપલ એક્ઝિટ ઓપ્શન અપાયો
જીટીયુ:ઇજનેરીનો અભ્યાસ છોડનારા વિદ્યાર્થી ગ્લોબલ પ્લેટફોર્મ થકી સ્કિલ કોર્સ કરી શકશે
જીટીયુમાં બીઈ, એમઈ, ડિપ્લોમા ઈજનેરીનો કોર્સ અધૂરો છોડી દેનારા વિદ્યાર્થીઓ હવે વિવિધ ગ્લોબલ પ્લેટફોર્મ પરથી સ્કિલ બેઝ કોર્સ કરી શકશે. જીટીયુના આ નિર્ણયના પગલે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત સહિતનાં શહેરોની ડિપ્લોમા-ડીગ્રી ઇજનેરી, એમઈ કોલેજોના વિદ્યાર્થીઓને આ લાગુ પડશે. એકેડમિક સેક્શન વિભાગે નેશનલ એજ્યુકેશન પોલિસી-2020ના અમલીકરણના અનુસંધાને મલ્ટીપલ એન્ટ્રી અને મલ્ટીપલ એક્ઝિટ પૉલિસીને લગતા સુધારાની જાહેરાત અનુસાર જીટીયુ દ્વારા અપાતી મર્યાદિત સંસ્થાઓની યાદીના પગલે વૈશ્વિક સ્તરે ગ્લોબલ પ્લેટફોર્મ પરથી સ્કિલ બેઝ કોર્સ કરવાનો રહેશે. વિદ્યાર્થીઓને આઈટી, મેન્યુફેક્ચરિંગ કે સર્વિસ સેક્ટરને લગતા આધુનિક અર્વાચિન કૌશલ્યો શીખવાની તક મળશે. આ રીતે જેમણે અભ્યાસ છોડયો છે તેવા વિદ્યાર્થીઓને અભ્યાસ અધૂરો છોડયા પછીથી વૈશ્વિક અને સ્થાનિક બજારમાં રોજગારી મેળવવામાં સહાયભૂત સાબિત થઈ શકે તેમ છે. વિદ્યાર્થીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે ભાસ્કર ફર્સ્ટ પર્સનનિયમોમાં આ પ્રકારનો સુધારો કરવામાં આવ્યોઆ અગાઉમાં વિશિષ્ટ ક્ષેત્રને લગતા ચોક્કસ પ્રકારના સ્કિલ કોર્સની યાદી અપાતી હતી. ડિસેમ્બર, 2025માં મળેલી એકેડમિક કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ હવે જીટીયુની ગાઇડલાઇનની સેકશન 6 (ડી)માં સુધારો કરાયો છે. જેના પગલે વિદ્યાર્થીઓ પસંદગી મુજબ માન્યતા પ્રાપ્ત પ્લેટફોર્મ પરથી 6થી આઠ ક્રેડિટના કોર્સ પોતાની રીતે પૂર્ણ કરી શકશે. - ડો. રીમા જોષી, સ્કિલ સ્પેશિયાલિસ્ટ, આસિ. પ્રોફેસર, બી જે મેડિકલ કૉલેજ
નોકરી ન્યુઝ:NIAમાં 88 જગ્યા ભરાશે 1.42 લાખ સુધીનો પગાર
ગુજરાત પોલીસના ‘સુપર કોપ્સ’ માટે હવે દિલ્હીના દ્વાર ખુલ્યા છે, કારણ કે દેશની પ્રીમિયર તપાસ એજન્સી NIA એટલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પ્રતિનિયુક્તિના ધોરણે મોટી ભરતી જાહેર કરી છે. એનઆઈએમાં વિવિધ 88 જગ્યાઓ ભરાશે. જેમાં પસંદગી પામનાર અધિકારીઓને સાતમાં પગાર પંચ મુજબ 1.42 લાખ સુધી પગાર મળવાપાત્ર થશે. ભરતી પ્રક્રિયામાં લાયકાતના ધોરણોમાં ગ્રેજ્યુએટ સાથે ધોરણ-12 પાસ એવા પોલીસ કર્મચારીઓ કે જેમને ઈન્વેસ્ટિગેશન કે પછી ઈન્ટેલિજન્સનો અનુભવ હોય તે ફરજિયાત છે. ખાસ આતંકવાદ વિરોધી કામગીરી કે ગુના શોધવાની કળામાં માહેર પોલીસકર્મીઓ માટે શ્રેષ્ઠ તક છે. ઈન્સ્પેક્ટરથી હેડ કોન્સ્ટેબલમાં કેટલી જગ્યા ભરાશે
ભાસ્કર એક્સક્લુસિવ:કોર્પોરેટ વર્લ્ડના પ્લેસમેન્ટમાં 6 વર્ષ દરમિયાન CMAને જોબ ઓફરમાં 40 ટકાનો વધારો
કોર્પોરેટ વર્લ્ડમાં નાણાંકીય વ્યવસ્થાપન, ખર્ચમાં ઘટાડો કરવા સહિતની વિવિધ બાબતોને લગતા નિષ્ણાતોની વધેલી માંગેને પગલે સીએમએ (કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ)ના છ વર્ષોના પ્લેસમેન્ટમાં કરાતી જોબ ઓફરની સંખ્યામાં 40 ટકાનો વધારો જોવા મળ્યો છે. સીએમએ પાસ આઉટ ઉમેદવારોને પાંચ વર્ષોમાં 13થી વધુ સેક્ટરની કંપનીઓએ વાર્ષિક 5થી 16 લાખ સુધીનું પેકેજ ઓફર કરાયું છે. ચાલુ વર્ષે સર્વાધિક એટલે કે વાર્ષિક 12.5 લાખ સુધીનું જોબ પેકેજ ઓફર થયું છે. સારા પગાર સાથે સીએમએના પ્લેસમેન્ટના આ રહ્યાં કારણો વર્ષ પ્રમાણે કરાયેલી જોબ ઓફર્સ અને પેકેજ આ 13થી વધુ સેક્ટરની કંપનીએ જોબ પાસઆઉટ ઉમેદવારોને ઓફર કરીટેલિ કોમ્યુનિકેશન, ફાર્માસ્યુટિકલ્સ, બેન્કિગ, કેમિકલ્સ, એનબીએફસી કન્સલ્ટન્સી ફર્મ, પ્લાસ્ટિક, કન્સ્ટ્રકશન, પેકેજિંગ, ઓટોમોબાઈલ,ગ્રીન એનર્જી, ડેરી પ્રોડક્ટ,હોટલ ઈન્ડસ્ટ્રીઝસ, લોજિસ્ટિક ઈન્ડસ્ટ્રીઝ.
એલસીબીની કાર્યવાહી:સ્મશાનની ઓરડીમાંથી વિદેશી દારૂના 956 ચપટા મળી આવ્યા
રાણા વડવાળા ગામના સ્મશાનની ઓરડીની છત પર દરોડો પાડી ઓરડીમાં રાખેલ વિદેશી દારૂના 956 ચપટા એલસીબીએ કબ્જે કર્યા હતા. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના અનુસંધાને એલસીબી પીઆઈ આર.કે.કાંબરીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે રાણા વડવાળા ગામ બાયપાસ નજીક પહોંચતા બાતમી મળેલ કે, રાણા વડવાળા ગામના સ્મશાનની ઓરડીની છત પર વિદેશી દારૂની બોટલોનો જથ્થો કોઇએ વેચવા માટે છુપાવેલ છે. જેથી સ્ટાફે સ્મશાનની ઓરડીની છત પર તપાસ કરતા વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડના પુઠ્ઠાના બોક્ષ નંગ 20 જેમાં 956 ચપટા મળી આવતા પોલીસે કુલ રૂ. 2,86,800નો મુદામાલ કબ્જે કર્યો હતો. અને આ સ્થળે કોઈ શખ્સ મળી આવેલ ન હોય જેથી અજાણ્યા શખ્સ વિરુધ્ધ રાણાવાવ પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યો છે.
મનપાએ ચેકીંગ ઝુંબેશ આદરી:4 સ્થળેથી 80 મણ ઘાસચારો જપ્તકરી ગૌશાળા ખાતે મોકલી દેવાયો
પોરબંદરમાં જાહેરમાં ઘાસચારો વેંચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, આમછતાં ઘાસચારો વેંચાઈ રહ્યો છે ત્યારે મનપા ટીમ દ્વારા ચેકીંગ ઝુંબેશ શરૂ કરી 4 સ્થળેથી જાહેરમાં ઘાસચારો વેચનાર સામે કાર્યવાહી સ્વરૂપે 80 મણ જેટલો ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો છે. જાહેરમાં ઘાસચારો નાખવાથી પશુઓ એકત્ર થાય છે અને રોડ પર અડ્ડો જમાવી બેસે છે જેને કારણે લોકોને મુશ્કેલી પડે છે. જેને કારણે કલેક્ટર દ્વારા પશુઓને જાહેર સ્થળ પર ઘાસચારો ન નાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અને તે અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાના અમલીકરણ માટે મનપા દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું અને થોડા મહિનાથી ચેકીંગ બંધ કર્યું હતું ત્યારે ફરી ચેકીંગ કામગીરી શરૂ કરી છે. મનપાના કમિશનર પ્રજાપતિ અને ડેપ્યુટી કમિશનર ચતુર્વેદીના માર્ગદર્શન હેઠળ સેનીટેશન ઓફિસર જગદીશ ઢાંકીની સૂચનાથી સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વનરાજ ટીંબા સહિતની ટીમ દ્વારા ચેકીંગ કર્યું હતું. ચેકીંગ દરમ્યાન વિવિધ વિસ્તારમાં જાહેરમાં ઘાસચારો વેંચતા શખ્સો મળી આવતા, તેઓની સામે કાર્યવાહી કરી કુલ 80 મણ જેટલો ઘાસચારો જપ્ત કરી આ ઘાસચારો મનપા હસ્તકની ઓડદર સ્થિત ગૌશાળા ખાતે પશુઓ માટે મોકલી દેવામાં આવ્યો છે.
પોરબંદર શહેરમાં સ્વચ્છતા જાળવવા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ પર અંકુશ મૂકવા માટે મનપાના સેનિટેશન વિભાગ દ્વારા ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનરની સૂચના અનુસાર ગત જાન્યુઆરી માસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. સેનિટેશન ઓફિસર જગદીશ ઢાંકી અને વિવિધ વોર્ડના સેનિટરી સબ ઇન્સ્પેક્ટરો દ્વારા કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન 120 માઇક્રોનથી ઓછી જાડાઈની પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ ગ્રાહકોને આપતા હોય તેવા 24 વેપારી ઝડપાયા હતા. તેમની પાસેથી વહીવટી ચાર્જ તરીકે રૂ.16,300 વસૂલ કરી, અંદાજે 868 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જાહેરમાં ગંદકી કરનાર, જાહેર સ્થળોએ દબાણ કરનાર તથા સ્વચ્છતા નિયમોનું ઉલ્લંઘન કરનાર કુલ 30 વ્યક્તિ સામે કાર્યવાહી કરી રૂ. 10,100નો દંડ ફટકારવામાં આવ્યો હતો.મનપાએ જણાવ્યું છે કે શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે આવી ઝુંબેશ નિયમિત રીતે આગળ પણ ચાલુ રાખવામાં આવશે. પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે, કચરો ડસ્ટબિનમાં જ નાખે અને ડોર-ટુ-ડોર કચરા વાહનમાં જ ઠાલવવામાં આવે તેવી અપીલ પણ કરી છે. નિયમોનું પાલન નહીં કરનાર સામે રૂ. 100થી લઈને રૂ.5,000 સુધીનો દંડ કરવામાં આવશે.
દર્દીઓને મુશ્કેલી:સરકારી હોસ્પિટલમાં લોહીમાં ઓક્સિજન માપવાનુ એબીજી રિપોર્ટનું મશીન બંધ
પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા ગંભીર પ્રકારના દર્દીઓ માટે લોહીમાં ઓક્સિજન માપવાનું એ.બી.જી.ટેસ્ટ બંધ હોવાથી દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે.હોસ્પિટલમાં આવેલ લેબોરેટરી તેમજ આઈ.સી.યુ.વિભાગમાં ઉપલબ્ધ આ ટેસ્ટના મશીનમાં ટેસ્ટ ન થતા દર્દીઓને હાલાકી વેઠવી પડી રહી છે. પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં મેડિકલ કોલેજના ડોકટરની વિવિધ વિભાગમાં નિમણૂક થતાની સાથે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.હોસ્પિટલમાં હાલ ગંભીર પ્રકારના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.ત્યારે હોસ્પિટલના આઈ.સી.યુ.વિભાગ તેમજ લેબોરેટરીમાં ગંભીર પ્રકારના દર્દીઓ માટે લોહીમાં ઓક્સિજન માપવા ઉપયોગી એવા એબીજી રિપોર્ટ છેલ્લા 10 દિવસથી થતા નથી. ભાવસિંહજી હોસ્પિટલના આઈ.સી.યુ.વિભાગ તેમજ અન્ય વિભાગમાં વેન્ટીલેટર તેમજ બાયપેપ મશીનમાં રહેલ ગંભીર પ્રકારના દર્દીઓના આ ટેસ્ટ કરવામાં આવે છે.ત્યારે હોસ્પિટલમાં આ ટેસ્ટ બંધ હોવાથી દર્દીઓને ફરજીયાત બહારની લેબોરેટરીમાં આ ટેસ્ટ કરવાની ફરજ પડે છે. ખાનગીમા એક ટેસ્ટના રૂ.800 થી 1000 ખર્ચે થાય છેપોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલની લેબોરેટરી તેમજ આઇ.સી.યુ.તેમજ લેબોરેટરી વિભાગમાં લોહીમાં.ઓક્સિજન માપવાનો એબીજી ટેસ્ટ ન બંધ છે જેથી દર્દીઓને ફરજિયાત ખાનગી લેબમાં ટેસ્ટ કરાવવા પડી રહ્યા છે.ખાનગી લેબમાં એક ટેસ્ટ રૂ.800 થી 1000 ખર્ચે થાય છે. ખાનગી લેબોરેટરીના એમ.ઓ.યુ.કરાયા છે હોસ્પિટલમાં 2 જગ્યા પર મશીન ઉપલબ્ધ છે.પરંતુ આ ટેસ્ટ માટેની કીટ મોંઘી અને નિયર એકસપાયરી આવતી હોવાથી કીટ ઓછી મગાવીએ છીએ.એટલે કીટ ખલાસ થઈ જવાથી ટેસ્ટ બંધ હતા પરંતુ કોઈ કારણોસર હોસ્પિટલમાં કોઈપણ ટેસ્ટ ન થાય તો ખાનગી લેબોરેટરીમાં પણ એમ.ઓ.યુ.કરાયેલ છે. > ડો.ગૌરવ ભંભાણી, એમ.એસ.
પોરબંદર જિલ્લામાં ઉદ્યોગો મૃતપ્રાય થઈ રહ્યા છે અને ઉદ્યોગ ન હોવાને કારણે લોકો હિજરત કરે છે. રોજગાર માટે અન્ય જિલ્લામાં હિજરત થતી હોવાને કારણે છેલ્લા 10 વર્ષમાં પોરબંદરની કુલ 54 પ્રાથમિક શાળા બંધ થઈ છે. એકપણ વિદ્યાર્થી ન હોય તેવી શાળાને બંધ કરવાનો વારો આવ્યો છે ત્યારે છેલ્લા 10 વર્ષમાં સરેરાશ દર વર્ષે 5 સરકારી શાળાને તાળા લાગતા કુલ 26 સરકારી શાળા અને 28 ખાનગી શાળા ધબડક થઈ છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 35 વર્ષમાં એકપણ મોટા ઉદ્યોગ આવ્યા નથી. ભૂતકાળમાં જે મોટા ઉદ્યોગ હતા તે બંધ થયા હતા અને હાલ જે ઉદ્યોગ છે તે પણ મૃતપ્રાય અવસ્થામાં છે. જિલ્લામાં ખેતી અને પશુપાલન તેમજ માછીમાર ઉદ્યોગ આવેલ છે તેમાં પણ વાતાવરણની અસરના કારણે માછીમાર ઉદ્યોગને માઠી અસર પહોંચી હતી જ્યારે ચોમાસા દરમ્યાન માવઠાને કારણે ખેડૂતોને નુકશાની વેઠવી પડી હતી. શહેરમાં હાલ બાંધકામ ઉદ્યોગ પણ ઠપ્પ થયો છે ત્યારે મજૂરો પણ બેરોજગાર થયા છે. મંદીના કારણે અને રોજગારી મળતી ન હોવાથી નાનો અને મધ્યમ વર્ગ હિજરત કરી રહ્યો છે, જેની અસર 10 વર્ષમાં જોવા મળી છે. રોજગાર માટે થતી હિજરતના પરિણામે છેલ્લા 10 વર્ષમાં પોરબંદર જિલ્લાની 54 પ્રાથમિક શાળા બંધ થઈ છે. એકપણ વિદ્યાર્થી ન હોય તેવી શાળાઓને બંધ કરવામાં આવે છે ત્યારે વર્ષ 2016થી દર વર્ષે સરેરાશ 5 શાળાને તાળા લાગતા કુલ 26 સરકારી શાળા અને 28 ખાનગી શાળા બંધ થઈ છે. હિજરતથી પોરબંદર જિલ્લો પાયમાલ થઈ રહ્યો છે. જિલ્લાની કઈ સરકારી શાળા બંધ થઈ ? વર્ષ 2016 થી પોરબંદર જિલ્લાની પ્રાથમિક સરકારી શાળા બંધ થઈ છે જેમાં ટુકડા મિયાણી સીમ શાળા, વિસાવાડા સીમ શાળા, દેગામ સીમ શાળા 1, સાતવીરડાનેસ પ્રાથમિક શાળા, બોરીયા વાળો નેસ પ્રા. શાળા, આજમાપટ નેસ પ્રા. શાળા, પથકડા સીમ પ્રા. શાળા, મહિરા સીમ શાળા, કુણવદર સીમ શાળા 1, કંડોરણા સીમ શાળા નંબર 3, કુણવદર સીમ શાળા 2, ચામુંડા સીમ શાળા, રાજમહેલ પ્રાથમિક શાળા, તાલીપટ્ટી સીમ પ્રા. શાળા મોકર, ધ્રુવાળા સીમ પ્રા. શાળા, કરાર સીમ શાળા, સીશોર સીમ શાળા, નંદેશ્વર પ્રાથમિક શાળા, ભોમિયાવદર સીમ શાળા 3, ભેટકડી સીમ શાળા, અડવાણા સીમ નંબર 2, રાણા રોજીવાડા સીમ શાળા 1, સિસલી સીમ શાળા, નીલકંઠ સીમ શાળા અને સોઢાણા સીમ શાળા બંધ થઈ છે. હિજરત માટે કયા પરિબળ ભાગ ભજવે છે ?સરકારી અને ખાનગી શાળાઓ બંધ થતી જાય તેની પાછળ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાનું કારણ છે. એકપણ વિદ્યાર્થી ન હોય તેવી શાળા બંધ કરવામાં આવી છે. સરકારી તેમજ ખાનગી શાળા પણ બંધ થવાનું કારણ હિજરત પણ હોય છે. પોરબંદર જિલ્લામાં સાડા ત્રણ દાયકાથી એકપણ ઉદ્યોગ આવ્યો નથી. રોજગારી મળતી ન હોવાથી પરિવારો અન્ય જિલ્લામાં હિજરત કરે છે, આ ઉપરાંત કુટુંબ નિયોજનના ફેલાવાની જાહેરાતની લાંબાગાળાની અસર પણ જોવા મળે છે. હવે લોકો એક જ સંતાન પ્રાપ્ત કરે છે જેથી બાળકોની સંખ્યા પણ ઓછી થતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટે છે. >ડો. ભુપેન્દ્રસિંહ જાડેજા, પ્રોફેસર, એમ.ડી. સાયન્સ કોલેજ, પોરબંદર
જૂનાગઢના પ્રસિદ્ધ તબલાવાદક હાજી રમકડુંને પદ્મશ્રી એવોર્ડ મળતા ડીજેએચઆરએફના ગુજરાત રાજ્ય પ્રમુખ જીજ્ઞાબહેન દેસાઈના માર્ગદર્શન અને જિલ્લા પ્રમુખ શાંતિબહેન જાડેજા અને જિલ્લા મહામંત્રી શ્રીમતી મિતલબહેન ત્રિવેદીના નેતૃત્વ હેઠળ હાજીભાઈ કાસમ ભાઈ મીર (હાજી રામકડુ)નો સન્માન કાર્યક્રમ રખાયો હતો. જૂનાગઢમાં રેડક્રોસ સોસાયટી ઓડિટોરિયમ ખાતે શાલ, ટ્રોફી અને પુષ્પહારથી ડીજેએચઆરએફ પરિવાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ધારાશાસ્ત્રી કમલેશભાઈ પંડયાએ કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં કુસુમ બહેન મહેતા, માયાબહેન ચાંઉ, રૂપલબહેન મઢવી, વર્ષાબહેન જાની, નિરીક્ષાબહેન તેરૈયા, મીનાક્ષીબહેન મહેતા, ડીજેએચઆરએફ પરિવારના મહિલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તજજ્ઞોએ વિદ્યાર્થીઓને સુચનો કર્યો:છાત્રોએ રિવિઝન માટે ટાઇમટેબલ બનાવવું, 7 કલાક ઉંઘ લેવી જરૂરી '
કુલદિપ માઢક આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે. બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ હાલ અંતિમ તબક્કાની પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે. દિવસ- રાત વાંચન કરી વધુમાં વધુ ગુણ કઇ રીતે મેળવવા તે માટે છાત્રો રાત-દિવસ એક કર્યા છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ શરૂ થયુ ત્યારથી જ તૈયારીમાં લાગી ગયા છે. હાલ તમામ શાળાઓમાં કોર્ષ પૂર્ણ થઇ જતા રીવીઝન પેપર પણ શરૂ થયા છે. સાયન્સના વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા પણ ચાલી રહી છે. હવે માત્ર બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો જ બાકી છે જે દરમિયાન વિદ્યાર્થીઓએ કઇ રીતે પરીક્ષાની તૈયારી કરીને વધુમાં વધુ ગુણ મેળવી શકે તે બાબતે ભાસ્કરે કેળવણીકારો સાથે વાત કરી હતી જેમાં તેઓએ કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ વિદ્યાર્થી માટે શેર કરી હતી. ઘરનો જ ખોરાક લેવો જોઇએ મોબાઇલથી દૂર રહેવુ જરૂરીહવે જ્યારે બોર્ડની પરીક્ષાને 18 દિવસ જ બાકી રહ્યા છે. તેને ધ્યાને રાખી વિદ્યાર્થીઓએ હવે માઇક્રોટાઇમીંગ સાથે વિષય મુજબ ટાઇમટેબલ બનાવી રીવીઝન કરવુ જોઇએ. અંતિમ પેપર હોય તે વિષયનુ શરૂઆતમાં અને પ્રથમ પેપરનુ અંતિમ રીવીઝન ગોઠવવાથી શ્રેષ્ઠ પ્રદર્શન મળે. વાલીઓએ ઘરનુ વાતાવરણ સકારાત્મક જ રાખવુ નકારાત્મક વૃત્તિ અટકાવવી જોઇએ. બાળકને સાત્વીક અને ઘરનો ખોરાક જ ખાવા દેવો બહારના ખોરાકથી દૂર રાખવા જોઇએ. હવે વિદ્યાર્થિઓએ મોબાઇલથી થોડુ દૂર રહેવુ ફાયદાકારક રહેશે. > એલ.વી.જોશી, શિક્ષક જે આવડતુ હોય તેનુ વધુમાં વધુ રીવીઝન કરવાનું રાખોહવે બોર્ડની પરીક્ષાને આડે જૂજ દિવસો જ રહ્યા છે એટલે હવે વિદ્યાર્થીઓએ અત્યાર સુધી જે નથી આવડ્યું તેની તૈયારી છોડી જે આવડે છે તેને સારામાં સારી રીતે તૈયાર કરવુ જોઇએ. હાલ પ્રશ્નોના જવાબ મુદ્દા સાથે સચોટ કઇ રીતે લખવા તે તરફ ધ્યાન આપવુ જોઇએ. આત્મવિશ્વાસ સાથે વાંચન કરવુ હિતાવહ રહેશે. ખાસ કરીને વાંચન સાથે શરીરની પણ કાળજી લેવી જોઇએ જેમાં બહારનુ જંકફુડ છોડી ઘરનો જ આહાર સેવન કરવો અને દિવસ દરમિયાન 6 થી 8 કલાકની પુરતી ઉંઘ લેવી જોઇએ. સવાર,બપોર અને સાંજ ત્રણ-ત્રણ મિનિટ ઉંડા શ્વાસ તથા બોડીંનુ સ્ટ્રેચિંગ કરવુ જેથી ઓક્સિજનની માત્ર જળવાય રહે. > ડો. માતંગ પુરોહીત, આચાર્ય ઘરનું વાતાવરણ સકારાત્મક રહે તો છાત્રનો ડર દૂર થાય હવે બોર્ડની પરીક્ષાને થોડા દિવસો બાકી હોવાથી વિદ્યાર્થીઓએ ગભરાવવાનુ છોડી વિષય મુજબ મુખ્ય મુદ્દાઓને તારવીને રિવીઝન શરૂ કરવુ જોઇએ. ખાસ કરીને ટાઇમનુ મેનેજમેન્ટ રાખવુ હિતાવહ રહેશે. શરીર સ્વચ્છ રાખવા માટે 6 થી 8 કલાકની એકધારી પુરતી ઉંધ લેવી જોઇએ. ખાસ કરીને વાલીઓએ હવે ઘરમાં વિદ્યાર્થીઓ પ્રત્યે નકારાત્મ વાતો છોડી પરીક્ષા સુધી સકારાત્મક વાતાવરણ જ રાખવુ જોઇએ અને બહારનો ખોરક ન આપી ઘરનુ ભોજન, ફ્રુટ, લીલા શાકભાજી ખવડાવવુ જોઇએ. વિદ્યાર્થીઓએ રોજ ખોટા ઉજાગરા છોડી ચિંતા વગર ટાઇમ ટેબલ ગોઠવી પરીક્ષાની તૈયારી કરવી ફાયદાકારક રહેશે. > ભરત મેસિયા, પ્રાધ્યાપક સમય, સ્પીડ નક્કી કરવા પેપર સોલ્વ કરવા હિતાવહહવે બોર્ડની પરીક્ષાને માત્ર 18 દિવસનો સમય જ બાકી હોવાથી હવે વિદ્યાર્થીઓએ જે ન સમજાતુ હોય તે વિષયના શિક્ષકો પાસેથી જાણકારી મેળવી રીવીઝન કરવુ જોઇએ. ઉપરાંત અનેક પ્રકાશનો દ્વારા જે બોર્ડના પેપરો જાહેર કર્યા હોય તે બોર્ડની સ્ટાઇલ મુજબ વિદ્યાર્થીઓએ લખવા જોઇએ જેથી સમય- સ્પીડ નક્કી થઇ શકે. વહેલી સવારે વાંચન સમય બોર્ડના વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ છે. ખાસ કરીને બોર્ડની પરીક્ષા નજીક હોવાથી આ દિવસોમાં વિદ્યાર્થીઓએ બહારનો ખોરાક ઓછો ખાઇ ઘરે જ સાદુ અને સાત્વિક ભોજન લેવુ જોઇએ અને વિદ્યાર્થિઓએ રોજની 7 થી 8 કલાકની પુરતી ઉંધ લેવી હિતાવહ રહેનાર છે.> જી.પી. કાઠી, શાળા સંચાલક
આગામી 11 ફેબ્રુઆરીથી ભવનાથ ખાતે મહાશિવરાત્રિનો મીનીકુંભ મેળો યોજાનાર છે. જેની તૈયારીઓ તંત્ર દ્વારા ઘણા દિવસો પૂર્વેથી કરવામાં આવી છે અને હવે તૈયારીઓનો અંતિમ ઓપ આપવાનુ શરૂ છે. ત્યારે શનિવારે સાંજે પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને સહ પ્રભારી મંત્રી કૌશિક વેકરીયાએ મેળાના રૂટનુ ચેકીંગનુ નર્યુ નાટક કર્યુ હતુ. ઉલેખનીય બાબત એ છે કે, જો બંને મંત્રીએ ખરી રીતે મીનીકુંભ શિવરાત્રિના મેળાના રૂટનુ ચેકીંગ કરવુ જ હતુ તો તેઓએ અઠવાડીયા પહેલા આવીને તૈયારીઓ નિહાળવી જોઇએ. તેમજ તંત્રને યોગ્ય સુચનો આપવા જોઇએ પરંતુ હાલ તો તંત્રએ પોણાભાગની તૈયારી કરી નાખી છે અને મેળાને આખરી ઓપ આપી દિધો ને પ્રભારીઓને રૂટ નિરીક્ષણ કરી, ફોટા પાડીને દેખાડો કરવાનુ નાટક સુજ્યુ છે.
ભાસ્કર વિશેષ:ભણાવવાની શરતે મહિલાએ લગ્ન કર્યા, બાદમાં સાસરીયાએ ના પાડતા પરિણીતા રિસામણે ગઇ
અઢી વર્ષ પહેલા ભણાવવાની શરતે બહેને લગ્ન કર્યા બાદમાં સાસરીયાઓએ પરિણીતાને ભણાવવાની ના પાડતા નારી અદાલતના શરણે પહોંચી છુટાછેટા, ઘરેણા-કરીયાવર સહિતનુ સ્ત્રીધન પાછુ મેળવવા માટેની માંગ કરી. નારી અદાલતે સ્ત્રીધન પાછુ અપાવ્યુ. નારી અદાલતના ભગવતી મહેતાએ જણાવ્યુ કે, એક બહેનના લગ્ન અઢી વર્ષ પહેલા થયેલા હતા ભણતર અધૂરૂ હતુ જેથી સામાવાળાને ભણવાની શરતે લગ્નગ્રંથિએ જોડાયા હતા. પરંતુ લગ્નબાદ સાસરીયાઓએ પરિણીતાને ભણાવવાની ના પાડતા બહેન પિયરમાં જતા રહ્યા હતા. બહેનનુ વડીલો દ્વારા સમાધાન પણ કરાવવામાં આવ્યુ હતુ અને સાસરીયાપક્ષના લોકો બહેનને તેડી પણ ગયા હતા. પરંતુ છેલ્લા 6 મહિનાથી ફરી પરિણીતા પીયરમાં આવી ગયા હતા અને આ બાબતે નારી અદાલતમાં કેસ નોંધાવ્યો હતો. જેમાં જણાવ્યુ કે, મે ભણાવવાની શરત લગ્ન માટે હા પાડી હતી. પરંતુ લગ્ન બાદ સાસરીયાવાળાએ મને ભણાવવાની ના પાડી દિધી છે. જેને કારણે હુ રિસામણી જતી રહી હતી હવે મારે છુટાછેડા અને સ્ત્રીધન પાછુ જોઇએ છે. નારી અદાલતમાં છૂટાછેડા થતા ન હોવાથી સામાવાળાને નારી અદાલતે બોલાવી. નારી અદાલતની ટીમ દ્વારા બંને પક્ષને સમજાવ્યુ પરંતુ બંને છુટાછેડા જ કરવા માંગતા હોવાથી નારી અદાલતે ઘરેણા, કરીયાવર સહિતનુ સ્ત્રીધન મહિલાને પાછુ અપાવ્યુ હતુ.
ફરિયાદ:PGVCLના ઇજનેરે વીજ ચોરીની જાણ કરતા હોટેલ માલિક સરપંચે હુમલો કર્યો
પીજીવીસીએલના ઇજનેરે વીજ ચોરીની જાણ કરતા માલણકા પાસે આવેલ રુદ્ર હોટલના માલિક સરપંચ તેમજ તેના પિતા, ભાઈએ 2 ઈજનેર પર હુમલો કરી મોબાઈલ ફોન તોડી નાખી ધમકી આપી હતી. બનાવની વિગતો અનુસાર માંગરોળ પીજીવીસીએલ ડિવિઝનના જુનિયર ઈજનેર સેજાભાઈ બાલાભાઈ કરમટા, પરબતભાઈ હમીરભાઇ સિંધલ શુક્રવારે સવારે 8 વાગ્યે મેંદરડા શાસન રોડ પર માલણકા ગામ પાસે આવેલ રુદ્ર હોટલે વીજ ચેકિંગ માટે ગયા હતા. જેમાં હોટલની પાછળ આવેલ ખેતીવાડીના ટીસીમાંથી ડાયરેક્ટર નાખી વીજ ચોરી થતી હોવાનું માલુમ પડ્યું હતું જેથી સેજાભાઈએ સ્થળ પર હાજર પ્રતિનિધિને પૂછતા તેને કોઈ જવાબ આપેલ નહીં અને થોડીવાર બાદ રુદ્ર હોટલના માલિક માલણકાના સરપંચ મંગળુભાઈ જેબલીયાએ આવી બંને ઇજનેરને ઢીકાપાટુનો માર માર્યો હતો અને હાજર પ્રતિનિધિ મંગળુભાઈના ભાઈ ભરતે તેજાભાઈના હાથમાંથી મોબાઇલ ફોન લઈ તોડી નાખ્યો હતો. આ દરમિયાન ભરત તથા તેના પિતા શાર્દુલભાઈએ હોટલમાંથી લાકડ્યો લઈ આવી હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા. વધુ મારથી બચવા માટે ગાડી મોબાઈલ ત્યાં જ મૂકી બંને ઇજનેર, ડ્રાઇવર જતા હતા તે દરમિયાન મંગળભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બનાવ અંગે જુનિયર ઈજનેર સેજાભાઈ કરમટાની ફરિયાદ આધારે રુદ્ર હોટલના માલિક સરપંચ મંગળભાઈ, તેના પિતા, ભાઈ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ તેમજ ફરજ રૂકાવટ સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વિવાદ:જેલમાં લુડો રમવા મુદ્દે કેદીએ કેદીને મારપીટ કરી, 1ને ઇજા
જૂનાગઢ જિલ્લા જેલની બેરેકમાં કેદીઓ વચ્ચે લુડો રમવાના મુદે મારામારીનો બનાવ બન્યો હતો. 6 મહિનાથી જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા 30 વર્ષીય ઘેલાભાઈ દિલીપભાઈ સોલંકી અને અન્ય એક કેદી શુક્રવારે બપોરે બેરેકબંધીના સમયે બેરેકમાં લુડો રમી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર કેદી સુરેશ ભીખાભાઈ સોલંકીએ રમતમાં વચ્ચે બોલવાનું શરૂ કર્યું હતું. ઘેલાભાઈએ તેને શાંતિથી રમત જોવા અને વચ્ચે ન બોલવા માટે કહેતા શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો કાઢી ઢીકાપાટુનો માર માર્યો હતો અને તેનું માથું દીવાલ સાથે ભટકાવ્યું હતું. આ ઝઘડામાં ઘેલાભાઈને શરીરના ભાગે અને ડાબી આંખ પાસે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેલના અન્ય કેદીઓ અને ફરજ પરના સિપાઇઓએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. ઈજાગ્રસ્ત કેદીને જેલ દવાખાનામાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે કેદી સુરેશ સોલંકીવિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
માળીયા હાટીના તાલુકાના જુથળ ગામની સેવા સહકારી મંડળીમાં 2.09 કરોડ રૂપિયાનું ઉચાપત કૌભાંડ મંડળીના પૂર્વ મંત્રી દ્વારા આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યુ છે. સને 2022થી જુથળ સેવા સહકારી મંડળીના પ્રમુખ કનૈયાલાલ ઉર્ફે કનુભાઈ દેવશીભાઈ કનેરીયાએ શુક્રવારે સાંજે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેની મંડળી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક સાથે સંયોજીત છે. કેશોદ તાલુકાના કણેરી ગામના કાંતિભાઈ નરશીભાઈ હિંગરાજિયા તા. 09-05-2009થી મંડળીમાં મંત્રી તરીકે ફરજ પર હતા અને તા. 14-04-2024 રહેલ. ત્યાર બાદ જતા રહ્યા હતા. તેનો સંપર્ક થયો ન હતો. મંત્રી તરીકેના સમય દરમિયાન કાંતિભાઈએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ખોટા પત્રકો, રસીદો બનાવી અને યોગ્ય હિસાબો રાખ્યા ન હતા. પોતાના લાભ માટે ખોટા ધિરાણ મંજૂર કરાવી, મંડળીના ચોપડા, જામીનગીરી સાથે ચેડા કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ઉપરાંત તેમણે સભાસદો પાસેથી લોન વસૂલાતની રકમ, ખાતરના વેચાણના નાણાં, થાપણો અને બેંક ખાતામાંથી ઉપાડેલી રકમ મંડળીમાં જમા કરાવવાને બદલે પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી કુલ રૂપિયા 2,09,49,609ની ઉચાપત કરી હોવાની ફરિયાદ શુક્રવારે મંડળીના પ્રમુખ કનૈયાલાલ ઉર્ફે કનુભાઈ કનેરિયાએ કરતા માળીયા પોલીસે મંડળીના ભૂતપૂર્વક મંત્રી કાંતિભાઈ હિંગરાજિયા સામે છેતરપિંડી, વિશ્વાસઘાતનો ગુનો નોંધી પીઆઇ એમ એન કાતરીયાએ તપાસ હાથ ધરી હતી. આ પ્રમાણે ગોલમાલ કરી’તી 1) રોકડ ઘટ ઉચાપત રૂા. 59,42,989 2) સ્ટોક (ખાતર) ઘટ ઉચાપત રૂા. 26,78,991 3) ધિરાણ ઉચાપત રૂા. 70,67,100 4) થાપણ ઉચાપત રૂા. 30,44,000 5) બેંક ખાતા ઉચાપત રૂા. 13,26,430 6) અંગત લોન ઉચાપત રૂા. 8,90,099 વકીલની નોટિસ બાદ મંડળીનો એફડી ધારકોને નાણા પરત કરવા બાંહેધરી પત્ર જૂથળ સેવા સહકારી મંડળી ખાતે એફડીની 21 રસીદો લઈ 16 સભાસદો તેમના નાણા પરત મેળવવા આવ્યાં ત્યારે ડામાડોળ મંડળીનો હવાલો સંભાળનાર પ્રમુખ અને મંત્રીએ તા. 15 જુલાઈ 2024ના રોજ સભાસદોને મંડળીની આર્થિક સ્થિતી ડામાડોળ હોય સક્ષમ થતાં પેમેન્ટ કરાશે તેવું વચન આપ્યું હતું અને મંડળીમાં રહી ગેરવહીવટ કરનાર જવાબદાર વિરૂધ્ધ ફોજદારી કાર્યવાહી કરાશે તેવી બાંહેધરી આપી હતી. આ બે મુદ્દા પૈકી ફરિયાદ થતા જ મંડળીએ એક બાંહેધરી પાળી હોય સભાસદો હાશકારો અનુભવતા જોવા મળ્યાં હતાં. અત્યારે મંડળીના ભૂતપૂર્વ મંત્રીનો કોઈ સંપર્ક નહી પ્રમુખની ફરિયાદ અનુસાર કાંતિભાઈ નરસીભાઈ હિંગરાજિયા સને 2009 થી મંડળીમાં મંત્રી તરીકેની ફરજ પર હતા અને 14 એપ્રિલ 2024 રહ્યા બાદ જતા રહ્યા હતા સંપર્ક ન થતા 17 મે 2024 થી કમિટીની બેઠકમાં નિતેશભાઇ ઉર્ફે નીતિન ખીમજીભાઇ વાછાણીની મંત્રી તરીકે નિમણૂક કરી હતી.
વાતાવરણ:ગરમીમાં એકાએક વધારો, તાપમાન 33 ડિગ્રીએ પહોંચ્યું
શનિવારે જૂનાગઢ સહિત સોરઠમાં ગરમીમાં એકાએક વધારો થતા મહત્તમ તાપમાન વધીને 33 ડિગ્રીએ પહોંચી ગયું હતું. બુધવારથી જૂનાગઢના તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે. સવારે ગુલાબી ઠંડી રહ્યા બાદ બપોરે આકરા તાપથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. શનિવારે સવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન સામાન્ય ઘટાડા સાથે 15.2 અને ગિરનાર પર્વત પર 10.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83 ટકા રહેતા વ્હેલી સવારે ઝાકળવર્ષા થઇ હતી. જેના પરિણામે ગુલાબી ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. બીજી તરફ બપોર થતાની સાથે મહત્તમ તાપમાનનો પારો ઉપર ચડીને 33 ડિગ્રીએ સ્થિર થતા આકરી ગરમીથી લોકો અકળાઈ ગયા હતા. શિયાળાના અંતિમ દિવસોમાં તાપમાનનો પારો 33 ડિગ્રી રહેવાની સાથે બપોરે હવામાં ભેજ 29 ટકા રહ્યો હતો.
વેપારીઓને મુશ્કેલી:ડોળાસા પંથકમાં ચલણી નોટો, સિક્કાની અછતથી મુશ્કેલી
કોડીનાર તાલુકાના ડોળાસા પંથકમાં હાલ નાની ચલણી નોટો અને સિક્કાઓની તીવ્ર અછત જોવા મળી રહી છે. જેના કારણે ગ્રાહકો અને વેપારીઓને લેવડ દેવડમાં મુશ્કેલીઓ પડી રહી છે. ડોળાસા સહિત આસપાસનાં ગામોમાં રૂપિયા 5, 10, 20 અને 50ની ચલણી નોટોની અછત જોવા મળી રહી છે. આ ઉપરાંત રૂપિયા 5, 10 સિક્કાઓની પણ તંગી જોવા મળી રહી છે. જેને લઈ વેપારીઓ અને ગ્રાહકોને લેવડ- દેવડમાં ભારે મુશ્કેલી પડી છે. જેને લઈ ડોળાસા વેપારી મંડળના પ્રમુખ પ્રતાપસિંહ મોરીએ રજૂઆત કરી આ પ્રશ્નનો વહેલીતકે હલ કરવાની માંગણી કરી છે.
ધરપકડ:જામનગરમાં ધોળા દિવસે ઘરફોડ ચોરીના ગુનામાં 1 શખસ ઝડપાયો
જામનગર શહેરમાં શ્રમિક પરિવાર ઘરને તાળા મારીને લગ્નમાં ગયોને ધોળા દિવસે તસ્કરો ત્રાટકીને સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ.67 હજારના મુદામાલની ચોરી કરી ગયાની ફરિયાદના ગણતરીની કલાકોમાં જ એલસીબીએ ઉકેલી નાંખીને એક શખસની ધરપકડ કરી છે અને એક લાખ ઉપરાંતનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. શહેરના વુલન મિલ નજીક સિદ્ધાર્થ નગર માં રહેતા પ્રવીણભાઈ નારાણભાઈ બગડા (ઉ.વ.42) નામના શ્રમિક યુવાન ગત તા.5ના રોજના રોજ લાલપુર તાલુકાના પીપળી ગામમાં પોતાના કુટુંબી સાળાના લગ્ન હોવાથી પત્ની અને ત્રણ સંતાનો સાથે ગયા હતા. સવારના 10 મકાનને તાળા મારીને નિકળ્યાને બપોરે 4 વાગ્યા સુધીમાં તસ્કરો તાળા તોડી અંદર ઘુસીને સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ.67 હજારના મુદામાલની ચોરી કરી ગયા હતા. જે અંગેની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન એલસીબીના કિશોરભાઈ પરમાર, ભરત ડાંગર અને અરજણભાઈ કોડીયાતરને મળેલી બાતમી મળી હતી કે, ચોરીમાં શની જેસીંગભાઈ કોળી બાવરી (રે.દિગ્જામ ર્સકલપાસે બાવરીવાસ) નામનો શખસ સંડોવાયેલો છે અને તે હાલ ચોરીના મુદામાલ પાસે શહેરના બાવરીવાસ ખુલ્લી ફાટક પાસે ઉભો છે. જેથી એલસીબીની ટીમે દરોડો પાડીને શનીને ઝડપી લીધો હતો. તેના કબજામાંથી ચોરાઉ સોનાના રૂ.92 હજારના દાગીના તેમજ રૂ.8,500ની કિંમતના ચાંદીના દાગીના મળીને કુલ રૂ.1,00,500નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.
ધરપકડ:ફિલ્મી ઢબે પીછો કરીને પોલીસે દારૂની ભરેલી કાર સાથે બે શખસોને દબોચ્યા
ધ્રોલના હજામચોરા પાસે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂની 519 બોટલ ભરેલી કાર સાથે બે શખસોને રૂ. 6.37 લાખના મુદામાલ સાથે ઝડપી લીધો છે. જેમાં સામખીયાળીના સપ્લાયરનું નામ ખુલ્યું છે. મળતી વિગત મુજબ આમરણ-ધ્રોલ નેશનલ હાઈવે તરફથી એક કારમાં અમુક શખસો ઈગ્લિંશ દારૂનો જથ્થો લઈને હજામચોરા તરફ આવતા હોવાની પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે પીઆઈ એચ.વી.રાઠોડએ સ્ટાફના જયેશભાઈ દલસાણીયા, જતીનભાઈ ગોગરા, સંજયભાઈ મકવાણા, ભગીરથસિ઼હ જાડેજાએ વોચ ગોઠવી હતી. ખાનગી આડશ ઉભી કરી દારૂની ભરેલી કારને રોકવાનો પ્રયત્ન કરતા ચાલકે કાર રીવર્સ લઈ યુટર્ન મારી પાછો હાઈવે તરફ નાશ્યો હતો. જેથી પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરીને કારને આંતરી લીધી હતી. તેમાંથી અબ્દુલ ઉર્ફે સોપારી અનવરભાઈ ભટ્ટી અને અરમાન ઈકબાલભાઈ જુણેજાને ઝડપી લીધા હતા. કારમાંથી વિદેશી દારૂની નાની-મોટી 519 બોટલો રૂ.3,07,725ની કિંમતની તેમજ રૂ.3 લાખની કિંમતની કાર અને રૂ.30 હજારની કિંમતના બે મોબાઈલ ફોન મળીને કુલ રૂ.6,37,725નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેની પુછપરછ કરતા આ દારૂનો જથ્થો સામખીયાળીના જુસબ તરયાએ સપ્લાય કર્યો હોવાનું જણાવતા પોલીસે તેને ફરાર જાહેર કર્યો છે.
દરોડો:પંજાબથી મોટી ખાવડી સુધીના હેરોઈનના નેટવર્કનો પર્દાફાશ, 4ની ધરપકડ: 1 પોલીસ કસ્ટડીમાંથી ફરાર
પંજાબના અમૃતસરથી જામનગરના મોટી ખાવડીમાં મજુર વસાહતમાં હેરોઈન (ડ્રગ્સ) વેંચાણના નેટવર્કનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે અને ચાર પંજાબીઓને હોટલમાંથી ઝડપીને રૂ.83.60 લાખની કિંમતનું 418 ગ્રામ હેરોઈન જપ્ત કર્યો છે. જેમાં અમૃતસરના સપ્લાયરનું પણ નામ ખુલ્યું છે. અમૃતસરથી મોટી ખાવડી સુધીના અંદાજે 1307 કીલોમીટરનું અંતર કાપ્યું છતાં એક પણ ચેકપોસ્ટ ખાતે ન પકડાતા પોલીસ કામગીરી પર સવાલ ઉઠ્યા છે. સાંજના સમયે એક શખસ પોલીસ સ્ટેશનમાંથી નાશી છુટતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મોટી ખાવડીમાં આવેલી હોટલ 666ના રૂમનં-202માં રહેતા શખસો ડ્રગ્સ લાવીને વેંચાણ કરતા હોવાની એસઓજીના હર્ષદભાઈ ડોરીયા, મયુરરાજસિંહ જાડેજા, ફિરોજભાઈ ખફી, બળભદ્રસિંહ, ધર્મન્દ્રભાઈને બાતમી મળી હતી. જે બાતમીના આધારે એસઓજી પીઆઈ બી.એન.ચૌધરી તેમજ પીએસઆઈ એ.વી.ખેર સહિતના સ્ટાફે હોટલમાં દરોડો પાડ્યો હતો. રૂમની તલાસી લેતાં તેમાંથી રૂ.83.60 લાખની કિંમતનો 418 ગ્રામ હેરોઈન (ડ્રગ્સ) મળી આવતા વિશાલસિંઘ જસવિરસિંઘ મટુ, હરપ્રિતસિંઘ તેગાસિંઘ મજવી, બિક્રમજીતસિંહ અમરજીતસિંઘ મજવી અને જગદિપસિંઘ ઉર્ફે જગ્ગી લખબીરસિંઘ ખેહરાને ઝડપી લીધા હતા. તેના પાસેથી રૂ.35 હજારની કિંમતના 7 મોબાઈલ તેમજ ઈલેક્ટ્રીક વજન કાંટો રૂ.500ની કિંમતનો તેમજ રોકડ રૂ.18,500 મળીને કુલ રૂ.84,14,000નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. તેની પુછપરછ કરતા વિશાલસિંઘએ કબુલાત કરી હતી કે, તે સાગરીતો હરપ્રિતસિંઘ, બિક્રમજીતસિં, અને જગદિપસિંઘ છેલ્લા બે-ત્રણ મહીનાથી અમૃતસર ખાતેથી ફિલી5સ ઉર્ફે ફૌજી પાસેથી હેરોઈન પાવડર લઈને જામનગરમાં વેંચાણ કરીએ છીએ. તે થોડા સમય પહેલા પંજાબ ગયા ત્યારે આરોપી હરપ્રિતસિંઘએ ફોન કર્યો હતો અને ફિલિ5સ પાસેથી હેરોઈન પાવડર લેતો આવજે, જેથી તે તેને 500 ગ્રામ હેરોઈન લઈ આવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ચારેય શખસોની ધરપકડ કરીને એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. પીઆઈ પી.ટી.જયસ્વાલએ પંજાબ સુધી તપાસ લંબાવી છે. મેઘપર પોલીસે ચારેય શખસો સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને કેસના કાગળો સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન પકડાયાના કલાકોમાં જ અરોપી વિશાલસિંઘ જરાવિરસિંઘ મટુ નામનો શખસ મેઘપર પોલીસ સ્ટેશનમાં પોલીસને ચકમો આપીને નાશી છુટતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી અને પોલીસે તેનો પીછો કરવા છતાં તે હાથમાં ન આવતા અને અંધારામાં ઓગળી ગયો હતો. પોલીસ કંટ્રોલરૂમને જાણ કરીને શહેર-જિલ્લામાં પોલીસે નાકાબંધી કરાવી હતી. જેમાં નાશી છુટેલા શખસનો ફોટો પણ પોલીસમાં વાયરલ કર્યો હતો. આ બનાવથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસની મોડી રાત સુધી શોધખોળ બાદ પણ તે મળી આવ્યો ન હતો. પંજાબી શખસો અંદાજે 1307 કીલોમીટરનું અંતર ટ્રેન તેમજ સરકારી બસો અને ખાનગી જામનગરમાં યુ.પી., બિહાર, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાંથી પરપ્રાંતિયો કામ અર્થે આવે છે અને નશાકારક પદાર્થો જામનગરની ખાનગી કંપનીની મજુર વસાહતોમાં ઘુસાડવામાં આવે છે અને શ્રમિકોમાં વેચાણ કરે છે. દેશભરમાંથી આવતા પરપ્રાંતિયોના કારણે ડ્રગ્સનું પ્રમાણ જામનગરમાં વધી રહ્યું છે. ગાંજા, મેફેડ્રોન ડ્રગ્સ, હેરોઈન પાવડર સહિતના જુદા જુદા નશાકારક પદાર્થો મળી રહ્યા છે. પોલીસ એનડીપીએસ એક્ટ મુજબ ગુનાઓ નોંધે છે. મેઘપર પડાણામાંથી તેમજ શહેરની અને જામનગર ખંભાળિયા હાઈવે પરની અમુક દુકાનોમાંથી ગત વર્ષે નશાકારક ચોકલેટોનો જથ્થો ત્રણ થી ચાર દૂકાનોમાંથી એસઓજીએ પકડી પાડ્યો હતો. તે નશાકારક ચોકલેટો ઉત્તરપ્રદેશના શખસો ચોકલેટોનું દુકાનોમાં વેચાણ કરતા હોવાનું ખુલ્યું હતું. ગત વર્ષે એનડીપીએસ એકટ મુજબ 8 ગુનાઓ નોંધાયા હતા. ત્યારે વર્ષ 2026ની શરૂઆતમાં જ લાખોની કિંમતનો હેરોઈનનો જથ્થો પકડીને પંજાબના ચાર શખસોને પકડીને એસઓજીએ પર્દાફાશ કર્યો છે. હેરોઈન પાવડરનો મળેલો જથ્થો પણ પંજાબના અમૃતસરથી વેચાણ માટે લાવ્યો હોવાની કબુલાત કરી છે. વાહનો મારફત જામનગર પહોંચ્યો હતો. જ્યારે આટલું અંતર કાપવા છતાં ચેકીંગના બળીંગા ફુંકતી પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે. આરોપીઓ ચરસી હોવાથી હોટલમાં 18 ગ્રામ હેરોઈન પી ગયાની કબૂલાત ખાનગી કંપનીમાં મજુરી કામ કરતા ચારેય શખસો ચરસી હોય, અને હેરોઈન પીવાના પણ બંધાણી હોવાની કબૂલાત કરી હતી. તેઓ પંજાબથી હેરોઈન પાવડર લાવ્યા બાદ 82 ગ્રામ જેટલો પી ગયા હતા. જે અંગેની પોલીસની પુછપરછમાં કબુલાત કરી હોવાની એસઓજી પીઆઈ બી.એન.ચૌધરીએ જણાવ્યું છે.
કાર્યવાહી:દિગ્જામ ઓવરબ્રીજ પાસે ડિમોલિશન 29.52 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ
જામનગર શહેરની ભાગોળે દિગ્જામ ઓવરબ્રીજ નીચેના વિસ્તારમાં શુક્રવારે રેલ્વેની જમીનમાં અનઅધિકૃત દબાણો દૂર કરવા માટે મેગા ઓપરેશન હાથ ધરાયુ હતુ જેમાં તંત્ર દ્વારા કાચા-પાકા બાંધકામો, ઝુંપડાઓ વગેરે મળી નાના મોટા 194 દબાણો દૂર કરી રૂા. 29.52 કરોડની કિંમતની 18,450 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરાવાઇ હતી.તંત્ર દ્વારા રાત્રી સુધીમાં દબાણ હટાવ ઓપરેશન પૂર્ણ કરી દેવાયુ હતુ. શહેરના વુલનમીલ રોડ પર દિગ્જામ ઓવરબ્રિજ નીચે પસાર થતી રેલ્વે લાઇનની આજુબાજુમાં છેલ્લા કેટલાક વર્ષોથી નાના મોટા કાચા-પાકા સહિતના દબાણો ઉભા થયા હતા.જેને દૂર કરવા માટે રેલ્વે તંત્રે શુક્રવારે સવારથી સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે લગભગ 300થી વધુ પોલીસ કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત મેગા ડિમોલિશન શરૂ કરાયુ હતુ.રેલ્વે તંત્ર દ્વારા 15 જેસીબી મશીનની મદદ વડે નાના મોટા કાચા-પાકા મળી 194 દબાણોને દૂર કરવા કાર્યવાહી કરી હતી. રેલ્વે તંત્ર દ્વારા આ દબાણ હટાવ ઓપેરેશનમાં રેલ્વે ટ્રેક આજુબાજુ બાવરીવાસ સહિત લગભગ ત્રણેક કિલોમીટર વિસ્તારમાં ખડકી દેવાયેલા દબાણો દૂર કરવા માટે કાર્યવાહી કરી હતી જેમાં 15 જેસીબી મશીનની મદદ વડે 75 પાકા અને 119 જેટલા કાચા ઝુંપડાઓ વગેરે મળી 194 દબાણોને રાત્રી સુધીમાં હટાવી દિધા હતા જેમાં લગભગ રૂા. 29.52 કરોડની કિમંતની 18,540 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરાવાઇ હતી. ડબલ ટ્રેકના પગલે આ મેગા ડિમોલિશનને પગલે ચુસ્ત બંદોબસ્ત રહયો હતો જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપરાંત 300 જેટલા પોલીસ અધિકારી-જવાનોએ બંદોબસ્ત જાળવ્યો હતો.રેલ્વેના સંબંધિત વિભાગના અધિકારીઓ અને આરપીએફ સહિત 70 જેટલા કર્મચારીઓ પણ જોડાયા હતા.જે સાથે મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ અને વિજતંત્રના પાંચ-પાંચ અધિકારી-કર્મીઓ પણ ઓપેરશનમાં સામેલ થયા હતા.
આજની યુવા પેઢી જ્યારે પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ આવી રહી છે, ત્યારે તેમને પુનઃ ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસા અને મૂલ્યોનું મહત્વ સમજાય તેવા ઉમદા હેતુ સાથે વિશ્વ હિન્દુ પરિષદ - દુર્ગાવાહિની અને માતૃશકિત દ્વારા ''''આપણી સંસ્કૃતિ આપણી વિરાસત''''ની ઉજવણી અંતર્ગત વેલેન્ટાઈન ડેના બદલે માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી અંતર્ગત 1100 વિદ્યાર્થીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. આપણી સંસ્કૃતિ આપણી વિરાસત સપ્તાહની ઉજવણી અંતર્ગત જામનગરની ડીસીસી વિવિધલક્ષી હાઈસ્કૂલ, એન ડી શાહ હાયર સેકન્ડરી વિદ્યાલય, ફાયર કોલેજ, નવાનગર હાઈસ્કૂલ સહિત શાળા કોલેજ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત વિદ્યાર્થી સંપર્ક પ્રમુખ કૃપાબેન લાલ વક્તવ્ય આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિની ગરિમા અને તેને જીવનમાં ઉતારવાની અનિવાર્યતા વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અને 7 ફેબ્રુઆરીના રોઝ ડે ના બદલે પ્રકૃતિ વંદના દિવસ, 8ના પ્રપોઝ ડે ના બદલે મંદિર દર્શન દિવસ કે સમૂહ આરતી દિવસ, ચોકલેટ ડે ના બદલે સ્વદેશી દિવસ, ટેડી ડે ના બદલે ગાય માતા પૂજન દિવસ કે ઉંબરા પૂજન દિવસ, પ્રોમિસ ડે ના બદલે નાગરિક કર્તવ્ય દિવસ, હગ ડે ના બદલે સૂર્ય દેવ જળ અર્પણ દિવસ,કિસ ડે ના બદલે તિલક દિવસ, વેલેન્ટાઇન ડે ના બદલે માતૃ પિતૃ પૂજન દિવસ અને શ્રદ્ધાંજલિ દિવસ ઊજવવા માટે આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 1100થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે તમામ બાળકોએ એકસાથે મળીને આપણી અમૂલ્ય સંસ્કૃતિ અને વિરાસતને જાળવી રાખવા તેમજ તેને ગૌરવપૂર્વક અનુસરવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિનીના આ પ્રયાસને શાળા પરિવાર અને વાલીઓ દ્વારા પણ બિરદાવવામાં આવ્યો છે. આ પ્રસંગે સંગઠનના અગ્રણી હોદ્દેદારોએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
સન્ડે ફોટો સ્ટોરી:દામનગરમાં ઉચ્ચ શિક્ષિત એકના એક પુત્રએ ત્યાગાશ્રમ સ્વીકાર્યો
દામનગર શહેરના લેઉવા પટેલ સમાજના સામાન્ય શ્રમિક પરિવારમાંથી આવતા તાગડીયા પરિવારના એકના એક પુત્ર મહિર ભરતભાઈ તાગડીયા વીતરાગના માર્ગે પ્રયાણ કર્યું છે. ઉચ્ચ શિક્ષત, આકર્ષક આવક મૂકીને BAPS સ્વામી નારાયણ સંસ્થાનનો ત્યાગાશ્રમ સ્વીકારતા આજે સૌરાષ્ટ્રભરમાંથી અનેક BAPS મંદિરના વરિષ્ઠ સંતો તેડવા પધાર્યા હતા. વરિષ્ઠ સંતો પૂજ્ય સ્વામી અધ્યાત્મત સ્વરૂપદાસ ગઢડા, કોઠારી સાળંગપુર સંત તાલીમ કેન્દ્રના ગુરુજી સંત સ્વામી ભક્તિસાગર સ્વરૂપદાસજી સ્વામી, સુરેન્દ્રનગર સ્વામી આનંદ નયન સ્વરૂપદાસજી, સ્વામી આનંદનિલય સ્વરૂપદાસજી, સ્વામી દિનબધું સ્વરૂપદાસજી, સ્વામી બ્રહ્મભૂષણ સ્વરૂપદાસજી વિગેરે હાજર રહ્યા હતા. દામનગર શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો હરિ ભક્તોએ સ્થિરપ્રજ્ઞ બની પૂજ્ય સંતોના ગુણો સાંભળ્યા હતા. ત્યાગ વૈરાગ્ય સ્વીકારી વીતરાગના માર્ગે ચાલવા 31 જેટલા યુવાનો આગામી માર્ચ માસ સાળંગપુર ધામ ખાતે દીક્ષા મેળવશે.
માર માર્યો:જાફરાબાદમાં ઘરમાં પાણી છાંટવા મુદ્દે યુવકને માર માર્યો
જાફરાબાદમાં ઘરમાં પાણી છાંટવા જેવી બાબતે યુવક પર ચાર શખ્સોએ ધોકા, તલવાર અને પાઈપ વડે હુમલો કર્યો હતો. આ અંગે જાફરાબાદ મરીન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જાફરાબાદના સામાકાંઠા ગોલ્ડન સોસાયટીમાં રહેતા નિલેશભાઈ ગણપતભાઈ ટંડેલ (ઉ.વ.35)એ)મયુર રમેશભાઈ, શંભુ સુરેશભાઈ, રોનક રમેશભાઈ અને હિતેશ ચેતનભાઇ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું મયુર પોતાના ઘર પર પાણી છાંટતો હતો. જે પાણી તેના ભાઈ રાજેશભાઈની અગાસી ઉપર આવતું હતું. રાજેશભાઈએ મયુરને પાણી છાંટવાની ના પાડતા ચારેયને સારૂ ન લાગતા તમામે તલવાર, પાઇપ, બેઝબોલનો ધોકો તથા ફાઇબરની લાકડી લઈને નિલેશભાઈ અને રાજેશભાઈને આડેધડ માર માર્યો હતો. તેમજ મારી નાખવાન ધમકી આપી હતી. આ અંગે જાફરાબાદ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા એએસઆઈ એચ.પી.ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
સગીરાનું અપહરણ કરાયું:અમરેલી તાલુકાના સોનારીયામાંથી સગીરાનું અપહરણ
અમરેલીના સોનારીયામાં રહેતા સગીરાના પરિવારે મુળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વાધગામનો વતની અને હાલ અમરેલીના તરકતળાવ ખાતે રહેતા અંતિમ સુડીયા બધેલએ 23 ડિસેમ્બરની રાતે સોનારીયામાંથી 16 વર્ષિય સગીરાનું લલચાવી ફોસલાવી તેમજ લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કર્યું હતું. સગીરાના અપહરણ અંગે અમરેલી તાલુકા પોલીસ મથકમાં અંતિમ સુડીયા બધેલ સામે ગુનો નોંધાતા પીઆઈ ઓ.કે.જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
હુમલો કરાયો:ખાંભાના બોરાળા ગામમાં યુવક પર કુહાડી વડે હુમલો
ખાંભાના બોરાળામાં 32 વર્ષિય યુવક પર ચાર શખ્સોએ કુહાડી, પથ્થર વડે હુમલો કર્યો હતો. ઉપરાંત ઢીકાપાટુનો માર પણ માર્યો હતો. ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ગીરસોમનાથના ગીરગઢડાના નવા ઉગલા ગામના ભાવેશભાઇ જાદવભાઇ પરમાર (ઉ.વ.32)એ બોરાળાના દાના ગભાભાઇ વાઘેલા, દાના વાઘેલાનો નાનોદિકરા તેમજ મોટો દિકરો અને તેના જમાઇ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 5 ફેબ્રુઆરીના બપોરના સાડા બારેક વાગ્યે ભાવેશભાઈ પરમારે તેના ભાઇ ભગુભાઇને ટેલીફોનિક પુછપરછ કરી હતી. તે સમયે ભાવેશભાઈ બોરાળા ગામે ધનાભાઇ મધુભાઇ પરમારના ઘરે લગ્નમાં આવ્યા હતા. અહીં ચારેય શખ્સો તેને સાંભળતા ભાવેશભાઈના મોટાભાઇ ભગુભાઇ પરમારને ઉપાડી લેવો છે તેવી વાતો કરતા હતા. ત્યારે ભાવેશભાઈએ ભગુભાઇને એકલા ના સમજતા તેમ કહેતા આ વાતનુ સારૂ ન લાગતા ચારેય શખ્સોએ ભાવેશભાઈ પરમાર પર કુહાડી વડે હુમલો કર્યો હતો. .
ભાસ્કર વિશેષ:જિલ્લામાં 316 શાળાની 19520 છાત્રાઓને 12.28 કરોડ ની સ્કોલરશીપ
સરકાર શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મુકાયેલી નમો લક્ષ્મી સ્કોલરશીપ યોજના ધોરણ 9 થી 12ની વિદ્યાર્થિનીઓ માટે એક મહત્વપૂર્ણ સહાયક યોજના તરીકે ઉભરી આવી છે. અમરેલી જિલ્લા શિક્ષણાધિકારી એમ.બી.ગોહિલે જણાવ્યું હતું કે, વર્ષ 25–26 દરમ્યાન અમરેલી જિલ્લામાં આ યોજનાનો વ્યાપક અમલ કરવામાં આવ્યો છે. જિલ્લાની કુલ 19520 વિદ્યાર્થિનીઓને નમો લક્ષ્મી સ્કોલરશીપ યોજનાના લાભરૂપે રૂ. 12.28 કરોડની સહાયતા ચૂકવવામાં આવી છે. નમો લક્ષ્મી સ્કોલરશીપ યોજનાના અમલથી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોની તેમજ આર્થિક રીતે જરૂરિયાતમંદ દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન મળ્યું છે. આ યોજનાના કારણે અનેક દીકરીઓ શાળામાં નિયમિત રીતે ભણવા જોડાઈ છે અને તેમના શૈક્ષણિક વિકાસમાં સકારાત્મક વધારો નોંધાયો છે. સરકારની આ પહેલ દીકરીઓના શિક્ષણને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. તેમણે ઉમેર્યું કે, આ સ્કોલરશીપના લીધે અમરેલી શહેરની જ ટી.પી.એમ.ટી ગર્લ્સ સ્કૂલની બે દીકરીઓ નબળી આર્થિક પરિસ્થિતિના કારણે આગળ અભ્યાસ કરવાની ન હતી પરંતુ નમો લક્ષ્મી સ્કોલરશીપ યોજનાનો લાભ મળતા આ બંને દીકરીઓ પોતાનું ધોરણ 12 સુધીનું શિક્ષણ હવે પૂર્ણ કરશે. આ યોજના અંતર્ગત અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાની 67 શાળાઓની 3599, બાબરા તાલુકાની 24 શાળાઓની 1535, લાઠી તાલુકાની 9 શાળાની 1669, લીલીયા તાલુકાની 32 શાળાની 649, કુંકાવાવ તાલુકાની 24 શાળાની 830, બગસરા તાલુકાની 16 શાળાની 1117, ધારી તાલુકાની 21 શાળાની 1390, ખાંભા તાલુકાની 18 શાળાની 1113, રાજુલા તાલુકાની 39 શાળાની 2841, જાફરાબાદ તાલુકાની 21 શાળાની 1862, સાવરકુંડલા તાલુકાની 45 શાળાની 2915 વિદ્યાર્થિનીઓ મળી જિલ્લાની 316 શાળાઓની ધો. 9-12ની 19520 વિદ્યાર્થિનીઓને આ સ્કોલરશીપ દ્વારા પોતાના શિક્ષણમાં પૂરક સહાયતા મળી છે. આ યોજનાના લીધે દીકરીઓને ઉચ્ચ અભ્યાસ સુધી ભણાવવાની માનસિકતા મજબૂત બની છે.નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9 અને 10ની વિદ્યાર્થિનીઓને માસિક આધાર પર સહાય આપવામાં આવે છે, જ્યારે ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને વધુ પ્રોત્સાહક દરે સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ડાયરેક્ટ ખાતામાં જમા થાય છે રકમ અભ્યાસ પૂર્ણ કરવા પ્રોત્સાહનરૂપે નિર્ધારિત ધોરણ પાસ કર્યા બાદ વધારાની સહાય પણ આપવામાં આવે છે. સમગ્ર સહાય રકમ ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સીધી વિદ્યાર્થિનીના બેંક ખાતામાં જમા થાય છે.
વિવાદ:રાજુલાના નીંગાળા ગામે યુવકને લાકડી વડે માર્યો
રાજુલાના નીંગાળામાં યુવક અને તેના પરિવાર પર પાંચ લોકોએ હુમલો કર્યો હતો. તેમજ ઘરની બહાર પાર્ક કરેલી ઈકો ગાડીમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ અંગે મરીન પીપાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ હતી. નીંગાળામાં રહેતા અર્જુનભાઈ ભરતભાઇ બાંભણીયા (ઉ.વ.25)એ ઉમેશ ભીખાભાઇ શિંગડ, સાગર ખીમાભાઇ ગુજરીયા, મીલન વેલાભાઇ ગુજરીયા, પ્રકાશ ભીખાભાઇ શિંગડ અને ભીખા શિંગડ સામે નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ચારેક વર્ષ પહેલાના પ્રેમ સબંધનું મનદુ:ખ રાખી 5 ફેબ્રુઆરીના રોજ સાંજના નવેક વાગ્યાના અરસામા તેના ઘરના ડેલાની સામે શેરીમા પાર્ક કરેલ ઇકો ગાડીમાં ઉમેશ શિંગડે તોડફોડ કરી હતી. આ ઉપરાંત આ તમામ લોકોએ અર્જુનભાઈ બાંભણીયા સહિત તેના પરિવારને પથ્થર અને લાકડી વડે માર માર્યો હતો. આ ઉપરાંત ઈકો ગાડીમાં તોડફોડ કરી રૂપિયા 50,000નું નુકશાન કર્યું હતું. આ અંગે પીપાવાવ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
અમરેલી તાલુકાના થોરડી મુકામે શિક્ષણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ.પ્રધુમનભાઈ વાજા તથા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે નવનિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, ગ્રામજનો તથા આગેવાનો દ્વારા મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ આશરે રૂ. 10 લાખના ખર્ચે નિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કર્યુ હતું. આ કોમ્યુનિટી હોલના નિર્માણથી ગામના સામાજિક, સાંસ્કૃતિક તથા વિકાસલક્ષી કાર્યક્રમોને નવી દિશા મળશે તેમ ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરીયા દ્વારા મંત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રી ડૉ.વાજા અને વેકરીયાએ ગામના સ્થાનિક આસ્થાના કેન્દ્ર સમાન શિવ મંદિરમાં દર્શન કર્યા હતા. આ પ્રસંગે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ પાથર, જિલ્લાના પંચાયતના સભ્ય મુકેશભાઈ બગડા, શંભુભાઈ મહિડા, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્ય, ગામના સરપંચ તેમજ સ્થાનિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કામગીરી:કોટડાપીઠામાં સુવિધા પથથી લોકોની હાડમારી દૂર થશે
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે લાંબા સમયથી પ્રજાજનોની માંગ રહેલી આંતરિક માર્ગ સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 1.30 કરોડના ખર્ચે સુવિધાપથ મંજૂર કરવામાં આવ્યો છે. આ માટે સ્થાનિક ઘારાસભ્ય જનક તળાવીયાની રજૂઆત રહી હતી. કોટડાપીઠા ગામે વસવાટ કરતા નાગરિકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓને વર્ષોથી ખરાબ માર્ગોના કારણે અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. ખાસ કરીને વરસાદી ઋતુ દરમિયાન કાચા તથા જર્જરિત રસ્તાઓ કારણે રોજિંદી આવાગમન, શાળા-કોલેજ, આરોગ્ય સેવા તથા ખેતી સંબંધિત વાહન વ્યવહાર અસરગ્રસ્ત થતો હતો. હવે રાજ્ય સરકારે રૂ. 1.30 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ સી.સી. રોડને મંજૂરી આપી છે. આ માર્ગ બનવાથી ગામના આંતરિક રસ્તાઓ મજબૂત બનશે. રસ્તાનું આ કામ મંજૂર થતા હવે કોટડાપીઠામાં કર્ણુકી ગામ તરફ જવાના કાચા રસ્તાની જગ્યાએ નવો આર સી સી રોડ બનશે. આ ગામ તરફ જવાનો રસ્તો હાલમાં કાચો છે તેના જગ્યાએ પાકો રસ્તો બનશે.
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તેમજ કાયદો અને ન્યાય રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી તાલુકાના શેડુભાર મુકામે શુક્રવારે હયાત કોઝ વે પર બોક્ષ કલવર્ટની કામગીરીનો આરંભ થયો હતો. ટોડા જરખીયા-અડતાળા- ખિજડીયા-શેડુભાર રોડ પર શેડુભાર ગામમાંથી પસાર થતા કોઝ વે પર આશરે રૂ. 56.60 લાખના ખર્ચે ખાનાવાળા બોક્ષકલવર્ટની કામગીરી માર્ગ મકાન વિભાગ રાજ્ય દ્વારા કરવામાં આવશે. શેડુભાર ગામમાં સ્થાનિકોની માંગણી મંજૂર થતા રાજ્યમંત્રીના હસ્તે હયાત કોઝ-વેની જગ્યાએ 6 જગ્યાએ 2 મીટર પહોળાઈ અને 2 મીટરની ઉંચાઈના ખાનાવાળા બોક્ષકલવર્ટ મૂકવામાં આવશે. જેના લીધે ચોમાસામાં પાણી ઓવરટેપીંગ થવાના સંજોગોમાં પણ આવનજાવન શરૂ રહેશે અને ગામમાંથી પસાર થતી નદીમાંથી સરળતાથી રસ્તો પસાર કરી શકાશે. આ પ્રસંગે વેકરિયાએ ગુણવત્તાયુક્ત કામ થાય તે સુનિશ્ચિત કરવા માર્ગ મકાન વિભાગ રાજ્યના અધિકારી તેમજ કોન્ટ્રાક્ટરને સૂચના આપી હતી. તેમજ ગ્રામજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. ગામના સરપંચ સહિતના મહિલા અગ્રણીઓના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ મંત્રીનો સ્વાગત સત્કાર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઓર્ગેનિક ખેતી:દડવા રાંદલ મુકામે પ્રાકૃતિક કૃષિ તાલીમશાળા યોજાઈ
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અમરેલીના નેજા હેઠળ દડવા રાંદલ મુકામે પ્રાકૃતિક કૃષિ તાલીમશાળાનું સફળ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. તાલીમ શાળામાં પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો વિષયક વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન ખેડૂતોને આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ તાલીમ શાળાનો લાભ મેળવ્યો હતો. તાલીમ શાળા દ્વારા ખેડૂતોને પર્યાવરણમિત્ર અને ખર્ચ બચતવાળી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. દડવા રાંદલ ગામના ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિમાં બીજ સંરક્ષણ અને સ્વદેશી બીજનો ઉપયોગ, જીવામૃત અને ઘનજીવામૃત દ્વારા જમીન પોષણ, આચ્છાદન (મલ્ચિંગ), જીવાત અને રોગ નિયંત્રણના કુદરતી ઉપાયો, વૈવિધ્યસભર ખેતી અને પ્રાકૃતિક સંતુલન ઉપરાંત રાસાયણિક ખેતી થકી માનવ આરોગ્ય પર ખતરો અને જમીનની ઘટતી જતી ગુણવત્તા સંદર્ભે માહિતી પ્રાપ્ત કરી હતી. એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ જનકભાઈ ચાવડા દ્વારા ભવિષ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ અને ખેડૂત સમૃદ્ધિ સહિતની બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ સતત અને નિરંતર વધી રહ્યો છે. અમરેલી જિલ્લામાં પણ અનેક ખેડૂતોએ પરંપરાગત કૃષિ પદ્ધતિ છોડીને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને અપનાવી છે. જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અન્વયે ધાન્ય પાકો, બાગાયતી પાક, કઠોળ સહિત વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમશાળાઓ થકી ખેડૂતોમાં સ્વસ્થ જમીન, ગુણવત્તાસભર પાક ઉત્પાદન અને સ્થિર કૃષિ વ્યવસ્થા અંગે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસે છે.
બે દિવસ પહેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે સરની કામગીરી દરમિયાન મતદારોના નામ કમી કરવાના મુદ્દે ધારાસભ્યના કાર્યાલય પર જઈ ચીમકી ભરી ભાષા વાપર્યા બાદ હવે સાવરકુંડલાના ભાજપના આગેવાનોએ આ મુદ્દે આકરો રોષ વ્યક્ત કરી પ્રતાપ દુધાત વોટ બેન્કની રાજનીતિ રમતા હોવાનો આક્ષેપ કર્યો છે. સાવરકુંડલાના આગેવાન રજનીભાઈ ડોબરીયા, જીગ્નેશભાઈ સાવજ અને અનિરુદ્ધસિંહ રાઠોડએ જણાવ્યું હતું કે પ્રતાપ દુધાતે ગાંધી ચિંધ્યા માર્ગે લડતની વાત કરી હતી. પરંતુ અમારો સવાલ એ છે કે તે કયા ગાંધીની વાત કરી રહ્યા છે. મહાત્મા ગાંધીની કે પછી રાહુલ ગાંધીની. ભાજપના કાર્યકર્તાઓ તથા આગેવાનો સામે નીચી કક્ષાની અને અશોભનીય ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે અત્યંત નિંદનીય, દુર્ભાગ્યપૂર્ણ અને સમાજમાં દ્વેષ ફેલાવનારું છે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય રાજનીતિમાં વિચારોની અને મુદ્દાઓની લડાઈ હોવી જોઈએ-અને તે લોકશાહીનું સૌંદર્ય પણ છે. પરંતુ કોઈ ખાસ વર્ગને ખુશ કરવા માટે હિન્દુ સમાજ અને ખાસ કરીને ભાજપના કાર્યકર્તાઓ તથા આગેવાનો માટે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરવો એ પ્રતાપ દૂધાતની નબળી માનસિકતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. ભાજપના કાર્યકર્તાઓ વર્ષોથી સેવા, સંઘર્ષ અને વિકારાના કાર્યમાં સતત જોડાયેલા રહ્યા છે. આવા કાર્યકર્તાઓને નિશાન બનાવીને અપમાનિત કરવું એ માત્ર ભાજપનું નહીં, પરંતુ લોકશાહી મૂલ્યોનું પણ અપમાન છે.
ભાસ્કર એક્સક્લુઝિવ:અમરેલી જિલ્લાના 619માંથી 419 ગામોસીસીટીવી કેમેરાથી સજ્જ બનાવી દેવાયા
અમરેલી જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં ગુનાખોરી ડામવા જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે અનોખી પહેલ કરી ગ્રામીણ વિસ્તારના સરપંચો અને દાતાઓને દરેક ગામમાં સીસીટીવી કેમેરા લગાવવા અપીલ કરતા અત્યાર સુધીમાં અમરેલી જિલ્લાના 619 માંથી 419 ગામોમાં સીસી ટીવી કેમેરા લાગી ગયા છે. માર્ચ સુધીમાં તમામ 619 ગામોમાં કેમેરા લાગી જશે અને ત્યારે અમરેલી જીલ્લો રાજ્યમાં એવો પ્રથમ જિલ્લો બનશે જ્યાં તમામ ગામોમાં સીસીટીવી કેમેરા હોય. અમરેલી જિલ્લામાં ગામડાઓમાંથી યુવા યુવા વર્ગ મોટા પ્રમાણમાં માઇગ્રેશન કરી શહેરોમાં વસે છે. ગામડાઓમાં મોટાભાગે વૃદ્ધ લોકો ખેતીવાડીના કામ સંભાળે છે અને બીજી તરફ ખેત મજૂરીમાં મોટા પ્રમાણમાં પરપ્રાંતિય લોકો આવીને વસ્યા છે. આવા સંજોગોમાં ગ્રામીણ વિસ્તારમાં થતી ગુનાખોરી પોલીસ માટે પણ ચેલેન્જ રૂપ બને છે. ત્યારે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે એક કદમ આગળ વધી અનોખી પહેલ કરી છે. તેમણે દરેક વિસ્તારમાં ગામડાઓમાં ફરી સરપંચો, દાતાઓ અને વિવિધ સંસ્થાઓને તેમના ગામોમાં સીસીટીવી કેમેરા લગાવવા સમજાવટ કરી હતી. જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને ગુનાખોરીનો ભેદ ઉકેલવામાં પણ સરળતા રહે. પોલીસ વડાની આ પહેલને દરેક ગામે વધાવી લીધી છે અને પાછલા છ માસના ગાળામાં અમરેલી જિલ્લાના 619 ગામોમાંથી 419 ગામોમાં ઠેક ઠેકાણે સીસીટીવી કેમેરા લાગ્યા છે. ક્યાંક ગ્રામ પંચાયતોએ ખર્ચ કર્યો છે તો ક્યાંક દાતાઓ અને સંસ્થાઓની મદદ લેવાય છે. જિલ્લા પોલીસ વડા કહે છે કે દરેક ગામમાં સીસીટીવી કેમેરા હોય તેવું ચિત્ર હું જોવા માગું છું અને બહુ ટૂંકા સમયમાં અમરેલી જિલ્લાના તમામ ગામોમાં સીસીટીવી કેમેરા લાગી જશે. જેમ જેમ કેમેરા લાગતા જાય છે તેમ તેમ પોલીસને ગુનાઓનો ભેદ ઉકેલવામાં પણ મદદ મળી રહી છે. અત્યાર સુધીમાં ગ્રામીણ વિસ્તારમાં લાગેલા સીસીટીવીના આધારે અનેક ગુનાના ભેદ ઉકેલાયા છે. લોકોએ પોતાના વ્યક્તિગત રીતે લગાવેલા સીસીટીવી કેમેરા ઉપરાંત આ વધારાના કેમેરા લાગી રહ્યા છે. જેનું તમામ સંચાલન જે તે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. જેમ જેમ ગામડાઓમાં સીસીટીવી કેમેરા લાગતા જાય છે તેમ તેમ જિલ્લા પોલીસ વડા સંજય ખરાત આવા ગામોના સરપંચ અને દાતાઓનું સન્માન કરી રહ્યા છે તેમને પોલીસ તરફથી સન્માનપત્ર અપાઇ છે. અગાઉ ઇગલ આઈ-1 પ્રોજેક્ટ હેઠળ 200 કી પોઇન્ટ પર 650 સીસીટીવી લાગ્યા હતાવર્ષ 2024માં અમરેલી જિલ્લામાં ઇગલ આઈ-1 પ્રોજેક્ટ લોન્ચ કરાયો હતો. જેમાં અમરેલી જિલ્લાની તમામ ચેકપોસ્ટ, મુખ્ય રસ્તાઓ, કી પોઇન્ટ વિગેરે જગ્યાએ મળી 200 જગ્યાએ 650 કેમેરા લગાવાયા હતા. જે તમામનું મોનિટરિંગ પોલીસના નેત્રમ કમાન્ડ સેન્ટરમાંથી કરાઇ છે. જાફરાબાદ મરીન, પીપાવાવ મરીન, દામનગર અને રાજુલાના તમામ 78 ગામમાં સીસીટીવીઅમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના 18 પોલીસ મથક પૈકી જાફરાબાદ મરીન, પીપાવાવ મરીન, રાજુલા અને દામનગર પોલીસ મથક હેઠળ આવતા તમામ 78 ગામમાં સીસીટીવી કેમેરા લાગી ગયા છે. આ કેમેરા લગાવવામાં ખાનગી કંપનીઓ પણ મદદ કરી રહી છે. લોકોની સુરક્ષા માટે આધુનિક ટેક્નોલોજીની મદદ લેવાનો નિર્ણય કર્યોજનતાના જાનમાલ અને સંપત્તિની જાળવણી માટે આધુનિક ટેકનોલોજીની મદદ લેવાનો અને તેમાં જનતાને જોડવાનો નિર્ણય કર્યો હતો. જેને ગ્રામીણ વિસ્તારના સરપંચો અને આગેવાનોએ આવકારી કેમેરા લગાવ્યા છે. જેનાથી ઘણા ગુના ઉકેલવામાં મદદ મળી છે. સુરક્ષાની જવાબદારી જનતા પણ ઉપાડી રહી છે તે ખુશીની વાત છે. > સંજય ખરાત, અમરેલીના એસપી
બેઠક:છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વાર નવનિયુકત મહામંત્રીનું સ્વાગત
છોટાઉદેપુર જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે નવનિયુક્ત પ્રદેશ મહામંત્રી અને મધ્યઝોન પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણની અધ્યક્ષતામા જિલ્લા સંગઠનના નવનિયુક્ત પદાધિકારીઓ,મોરચા પ્રમુખ, મહામંત્રીઓ અને મંડલ પદાધિકારીઓની પરિચય બેઠક યોજાયી હતી. નવનિયુક્ત પ્રદેશ મહામંત્રી પ્રથમવાર છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવતા જિલ્લા ભાજપાના પદાધિકારીઓએ કેવડીથી બાઈક રેલી દ્રારા છોટાઉદેપુર જિલ્લા ભાજપા કાર્યાલય સુધી લાવી તેમનુ ઉષ્માભર્યુ સ્વાગત કરવામા આવ્યુ હતુ. પરિચય બેઠકને સંબોધન કરતા નવનિયુક્ત પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણે પદાધિકારીઓને જણાવ્યુ હતુ કે, તમામ પદાધિકારીઓને જવાબદારી મળી છે તેઓએ બુથના પ્રમુખ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી પોતાનો પરિચય વધારવા અને નાનામા નાનો કાર્યકર્તા નારાજ ન થાય તેવા પ્રયત્ન કરવા પર ભાર મુક્યો હતો.આવનારી ચૂટણીઓમા છોટાઉદેપુર જિલ્લામા ભાજપ આજે જે મજબૂતીથી ઊભુ છે.તે જ મજબુતીથી સહુ કાર્યકર્તાઓ એક સાથે કામ કરે તેવુ આહવાન કર્યુ હતુ. આ પરિચય બેઠકમા છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા,ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા,ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, પૂર્વ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા,પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા,પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ રાઠવા,મહામંત્રી રમણભાઈ બારીયા,પુષ્કરભાઈ પટેલ સહીત જિલ્લા તાલુકાના નવનિયુક્ત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
ઓનલાઈન પ્લેટફોર્મ પરથી કરવામાં આવતી ખરીદી સમયે વસ્તુનું જે પાર્સલ તૈયાર કરાય છે તે કોઈ ખોલી ન શકે તેવું જો કોઈ માનતું હોય તો તે એક મોટી ભૂલ છે. ઓનલાઈન પ્લેટફોર્મ પરથી આવેલા પાર્સલમાંથી અસલી વસ્તુ કાઢી નકલી પેક કરી દેતી એક ટોળકીનો અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. જેઓ પાસેથી એક પ્રવાહી પણ મળી આવ્યું છે જેને ઈન્જેકશનમાં ભરીને પાર્સલ ખોલતા હતા. પોલીસે જ્યારે આરોપીને પકડ્યા ત્યારે આરોપીઓએ બે મિનિટમાં જ પોલીસની હાજરીમાં પાર્સલ ખોલી અસલી વસ્તુ કાઢીને પરત પેક કરી બતાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આઈફોન, એપલ વોચ જેવી કિંમતી વસ્તુ પાર્સલમાંથી કાઢી ડુપ્લીકેટ પેક કરી દેતાઅમદાવાદ ક્રાઈમ બ્રાંચે જે ટોળકીનો પર્દાફાશ કર્યો છે તેઓ એક વ્યવસ્થિત રીતે આ રેકેટ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ અને તેના મિત્રો વિવિધ IDથી ખોટા સરનારા પર ઓનલાઈન ઓર્ડર બુક કરાવતા હતા. જ્યારે પાર્સલ આવે ત્યારે બધા મળીને તેમાંથી અસલી વસ્તુ કાઢી લેતા અને તેની જગ્યાએ નકલી વસ્તુ મુકીને વિશાલ નામના આરોપીને આપી દેતા હતા. કઈ રીતે રેકેટનો પર્દાફાશ થયો?નવા નરોડામાં આવેલી કુરિયર પાર્સલની કંપની ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મની એક કંપનીના ઓનલાઇન પાર્સલોની ડિલીવરીનું કામ કરે છે. ગત તા.28 જાન્યુઆરીએ 60 પૈકીના એક કર્મચારીએ ઓર્ડર કેન્સલ થયો હોવા અંગે અને તેમાં છેડછાડ થવા બાબતે જાણ કરી હતી. જેથી તે પાર્સલની તપાસ કરતા તેમાંથી ડુપ્લીકેટ ફોન મળી આવ્યો હતો. જેથી રિશભભાઇએ ઓનલાઇન સોફ્ટવેરમાં તપાસ કરતા 1.34 લાખનો આઇફોન 17 પ્રો અને અન્ય 1.22 લાખનો ફોન સરદારનગરના સરનામા પર ડિલીવરી કરવાની વિગતો પ્રાપ્ત થઇ હતી. જે બાદ વધુ તપાસ કરાતા કંપનીમાં કામ કરતા વિશાલ બાવરી આ વસ્તુઓ ડિલીવરી માટે લઇ ગયો હતો.જેથી વિશાલ બાવરીની પૂછપરછ કરતા તેણે સમગ્ર બાબતે વટાણા વેરી નાખ્યા હતા. પોલીસની હાજરીમાં બે મિનિટમાં જ પાર્સલ ખોલીને બંધ કરી દીધુંઅમદાવાદ ક્રાઈમ બ્રાંચે જ્યારે આરોપીઓ પાસે ડેમો કરાવ્યો તો આરોપીઓએ પેટ્રોલ જેવા દેખાતા એક પ્રવાહીને ઈન્જેકશનમાં ભર્યું હતું અને તેની મદદથી બે મિનિટમાં જ પાર્સલ ખોલી બતાવ્યું હતું. જે જોઈને પોલીસકર્મીઓ પણ આશ્ચર્યમાં મૂકાયા હતા. આરોપીઓ પાસેથી 8 અસલી અને 25 નકલી ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરાયોવિશાલ દ્વારા પરત આવેલા અન્ય પાર્સલોની તપાસ કરાતા આઇફોન સહિત બે ફોન, 1.79 લાખની બે એપલ વોચ પણ છેતરપિંડીથી મેળવી હોવાનું ખુલવા પામ્યુ હતું. જે મામલે ક્રાઇમબ્રાંચે ગુનો નોંધી આરોપી રામલાલ ગેહલોત, મનોજ, માલી, ભરત સુંદેશા, વિશાલ પંચાલ, વિશાલ બાવરી નામના પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 8 ફોન, 25 ડમી ફોન, ડમી ઇયર બડ, ગેમિંગ પ્રોસેસર, કેમેરા લેંસ, હેરડ્રાયર અને ગાડી મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે હવે આ ગેંગના રીશીપાલ ભાટી અને વિનોદની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓએ અમદાવાદની સાથે રાજસ્થાન, સુરત અને વડોદરામાં પણ છેતરપિંડીના ગુના આચર્યા હતા.
ફરજમાં બેદરકારી દાખવવાના મામલે ગુજરાત સરકાર અને વિભાગ દ્વારા જામનગરના SGST વિભાગના બે અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જામનગરમાં ફરજ બજાવતાં આસિસ્ટન્ટ કમિશનર એસ. કે. પટેલ અને સ્ટેટ ટેક્સ ઓફિસર રાહુલ મોટાને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. પેઢીઓને નોટિસ આપ્યા બાદ ફરજમાં બેદરકારી રહેતા કાર્યવાહીપ્રાપ્ત માહિતી મુજબ, જામનગરની કેટલીક પેઢીઓને નોટિસ આપવામાં આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં કસૂર કરવા તેમજ ફરજ નિભાવવામાં ગંભીર બેદરકારી દાખવવાના આક્ષેપો સામે આવ્યા હતા. આ મામલે ઉચ્ચ સ્તરે તપાસ હાથ ધરાયા બાદ પ્રાથમિક રીતે અધિકારીઓની જવાબદારી નક્કી થતાં સસ્પેન્શનનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગીય સૂત્રોના જણાવ્યા અનુસાર શાસન દ્વારા કરવેરા વસૂલાત અને કાર્યવાહી પ્રક્રિયામાં પારદર્શિતા અને શિસ્ત જાળવવા માટે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. બોગસ બિલિંગ કૌભાંડ સમયે અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ જણાઈ હતીઆધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ખોટા ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) પાસ કરવામાં મદદગારી અથવા તેનાથી સંબંધિત નાણાકીય ગેરરીતિની આશંકા હતી. તાજેતરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રાજ્યભરમાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન અને 'ફેક ઇન્વોઇસિંગ' (બોગસ બિલિંગ) કૌભાંડની તપાસ દરમિયાન આ અધિકારીની ભૂમિકા શંકાસ્પદ જણાઈ હતી. ગુજરાત સરકાર અને વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ પસાર કરીને તેમને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. આ સસ્પેન્શનના સમયગાળા દરમિયાન તેમને હેડક્વાર્ટર છોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે અને એક ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા તેમની સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી સાયબર ફ્રોડ:એક ડોક્ટર સહિત બે આરોપીઓની ધરપકડ, ડોક્ટર સામે 3 રાજ્યોમાં ફરિયાદ
મોરબીમાં સાયબર ફ્રોડના એક મોટા કેસમાં પોલીસે એક ડોક્ટર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. ડોક્ટર સુજલ સબીરભાઈ ચામડીયાએ કમિશન માટે પોતાનું બેંક એકાઉન્ટ ભેજાબાજોને ભાડે આપ્યું હતું. આ ડોક્ટર સામે અગાઉ પંજાબ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યોમાં પણ આવી જ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. ડીવાયએસપી વિરલ દલવાડી પાસેથી મળતી માહિતી મુજબ, ડો. સુજલ ચામડીયાએ ₹20,000 કમિશન માટે પોતાનું બેંક એકાઉન્ટ આરોપી ચિરાગ (અમદાવાદ) અને મનોજ વાલજીભાઈ મકવાણા (રંગપર, બોટાદ) ને ભાડે આપ્યું હતું. આ એકાઉન્ટમાં જુદા જુદા વ્યક્તિઓ પાસેથી સાયબર ફ્રોડ દ્વારા ₹14,55,349 જમા થયા હતા, જેમાંથી ₹7,60,034 ઉપાડી લેવામાં આવ્યા હતા. બાકીની રકમ બેંક એકાઉન્ટમાં ફ્રીઝ કરવામાં આવી છે. આ ગુનામાં પોલીસે મોરબીના અકબર ફકરુદીનભાઈ શેખની પણ ધરપકડ કરી છે. અકબર શેખે પણ પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું, જેમાં આંધ્રપ્રદેશમાંથી ₹29 લાખ આવ્યા હતા અને તે પણ ઉપાડી લેવામાં આવ્યા હતા. હાલમાં, આરોપી ડો. સુજલ ચામડીયાને જેલ હવાલે કરવામાં આવ્યા છે, જ્યારે આરોપી અકબર શેખ બે દિવસના પોલીસ રિમાન્ડ પર છે. મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધવામાં આવ્યો હતો અને મુખ્ય ભેજાબાજ શખ્સોને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એ.વસાવાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં મ્યુલ એકાઉન્ટને લગતા કુલ 15 ગુના નોંધાયા છે, જેમાં આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ તેમના બેંક એકાઉન્ટ ભાડે લેનારા મુખ્ય આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલુ છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં વેરા વસૂલાતની કામગીરી તેજ કરવામાં આવી છે. જેમાં વરાછા ઝોન-એ પૂર્વ ઝોનના આકારણી અને વસૂલાત વિભાગે સપાટો બોલાવતા સમગ્ર શહેરમાં વસૂલાતની કામગીરી કડક બનાવી ટકાવારીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલી સીલિંગની ઝુંબેશને કારણે કરચોરોમાં ભારે ફફડાટ છે. વેરો ન ભરતા રહેણાંક અને કોમર્શિયલ મિલક્ત સીલ આજે વરાછા ઝોન-એની ટીમો દ્વારા વોર્ડ નં. 18-ડ માં સમાવિષ્ટ એવા પટેલનગર, માંગીલાલની ચાલ, ભંડારી લેબ્ગ્રોન, માનસરોવર ઇન્ડસ્ટ્રીયલ અને સરદાર હીરા ઉદ્યોગ જેવા વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સાથે શિવાંજલી રો-હાઉસ, સૌરાષ્ટ્ર ડાયમંડ સોસાયટી, રૂપા એપાર્ટમેન્ટ, અજંતા ડાયમંડ, હરી ઈચ્છા ઇન્ડસ્ટ્રીયલ અને ખાંડબઝાર જેવા રહેણાંક અને વ્યાપારી એકમોનિ મિલકતદારોને વારંવારની સૂચના છતાં વેરો ભરપાઈ કર્યો ન હતો તેથી તેમની મિલકતોને સ્થળ પર જ સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. 25 લાખની રોકડ વસૂલાત અને 30 લાખથી વધુના એડવાન્સ ચેકપાલિકાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ફક્ત આજની કામગીરી દરમિયાન વોર્ડ 18-ડી માંથી રૂ. 25 લાખની રોકડ વસૂલાત થઈ છે અને રૂ. 30 લાખથી વધુની રકમના એડવાન્સ ચેક મેળવવામાં આવ્યા છે. 80થી 90 મિલકતદારોએ 3.56 કરોડનો વેરો ભર્યોતારીખ 1 ફેબ્રુઆરી થી 7 ફેબ્રુઆરી, 2026 સુધીના આંકડાઓની વાત કરીએ તો, ઝોનની 100થી વધુ મિલકતોને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને અંદાજે 80થી 90 મિલકતદારોએ સીલિંગની કાર્યવાહીથી બચવા તાત્કાલિક ધોરણે રૂ. 3.56 કરોડ જેટલી રકમ જમા કરાવી હતી. ગત વર્ષનો રેકોર્ડ તોડયો વરાછા ઝોન-એ અત્યારે સમગ્ર સુરત મહાનગરપાલિકામાં 67.59 ટકા વસૂલાત સાથે સૌથી આગળ છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ રૂ. 219.87 કરોડની વસૂલાત કરવામાં આવી છે, જે ગત વર્ષની કુલ વસૂલાત રૂ. 212.31 કરોડ કરતા રૂ. 7.56 કરોડ વધુ છે.
જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં આગામી 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા વિશ્વપ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળા પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો છે. મેળાના આયોજનમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને પક્ષપાતી વલણ સામે વિપક્ષી નેતા લલિત પરસાણાએ મોરચો માંડ્યો હતો.જોકે વિરોધ પ્રદર્શન કરી રહેલા લલિત પરસાણા અને અન્ય કોંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી તેમને ડિટેઈન કર્યા હતા. ‘યાત્રિકોની સુવિધાના નામે માત્ર કાગળ પર વાતો થઈ રહી’લલિત પરસાણાએ જણાવ્યું હતું કે, ભવનાથ તળેટીમાં યોજાતો આ મેળો આપણી સનાતન સંસ્કૃતિ અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. આ મેળાની ગરિમા જળવાવી જોઈએ, પરંતુ આ વર્ષે તંત્રના અણઘડ અને જડ નિર્ણયોને કારણે શ્રદ્ધાળુઓ તેમજ સેવાકીય સંસ્થાઓ ભારે હાલાકી ભોગવી રહી છે. યાત્રિકોની સુવિધાના નામે માત્ર કાગળ પર વાતો થઈ રહી હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. ‘ધૂળની ડમરીઓ અને બિસ્માર રસ્તાઓ વચ્ચે શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવું તે તંત્રની નિષ્ફળતા’વિકાસના દાવાઓની પોલ ખોલતા વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો કે, મેળો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, છતાં વાઘેશ્વરી મંદિર જેવા અતિ મહત્વના રસ્તાઓ હજુ પણ ખોદાયેલી હાલતમાં છે. ધૂળની ડમરીઓ અને બિસ્માર રસ્તાઓ વચ્ચે શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવું તે તંત્રની નિષ્ફળતા છે. છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી કામગીરી હજુ સુધી પૂર્ણ કેમ થઈ નથી તેવા પ્રશ્નો પણ તેમણે ઉઠાવ્યા હતા. 'VIP કલ્ચર અને ભેદભાવ કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં'સૌથી મોટો વિવાદ ટ્રાફિકના નિયમોને લઈને સર્જાયો છે. તંત્ર દ્વારા ગિરનાર દરવાજેથી તમામ ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગે પરસાણાએ જણાવ્યું કે, આ નિર્ણયને કારણે નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધોએ 10થી 11 કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપવું પડે છે. એક તરફ સામાન્ય જનતાને ચલાવવામાં આવે છે અને બીજી તરફ ભાજપના નેતાઓ અને તેમના માનીતા કાર્યકરો પાસ લઈને લક્ઝરી ગાડીઓમાં મેળામાં ફરે છે. આ પ્રકારનું 'VIP કલ્ચર' અને ભેદભાવ કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. 'મેળાની ગરિમા કેવી રીતે જળવાશે ?'આ મેળો અનેક નાના વેપારીઓની આજીવિકા છે અને અનેક અન્નક્ષેત્રો અહીં આવતા શ્રદ્ધાળુઓની જઠરાગ્નિ ઠારે છે. પરંતુ તંત્રના જડ નિયમોને કારણે આ તમામ સેવાભાવી લોકો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જો શ્રદ્ધાળુઓ સુધી જીવનજરૂરી ચીજવસ્તુઓ કે ભોજન પહોંચાડવામાં જ અવરોધ આવશે, તો મેળાની ગરિમા કેવી રીતે જળવાશે ? ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારીપોલીસ અટકાયત બાદ પણ મક્કમ રહીને લલિત પરસાણાએ તંત્રને ખુલ્લી ચીમકી આપી છે કે, મેળો એ ભક્તિ અને શ્રદ્ધાનું સ્થળ છે, તેને રાજકીય અખાડો ન બનાવવો જોઈએ. જો તંત્ર આગામી દિવસોમાં પોતાની કાર્યપદ્ધતિ નહીં સુધારે અને સામાન્ય જનતા માટે સુવિધાઓ ઉભી નહીં કરે, તો કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી નેતાઓને બોલાવીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
ભાવનગરની શિશુવિહાર સંસ્થા ખાતે ૭ ફેબ્રુઆરીના રોજ એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લોકભારતી યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. વિશાલ ભાદાણીએ પોતાના પુસ્તક 'ન્યુરોમાર્ગ' અંગે શિક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. ભાદાણીએ જણાવ્યું કે શિક્ષણ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની આંખ, કાન અને હાથ મદદરૂપ થાય છે, પરંતુ જ્ઞાનની મૂળભૂત પ્રક્રિયા માનવ મસ્તિષ્કમાં થાય છે. બાળક કેવી રીતે શીખે છે અને તેનું મસ્તિષ્ક જ્ઞાનને કેવી રીતે અપનાવે છે, તે વિષય પર તેમણે વાર્તાલાપ કર્યો હતો. આ વાર્તાલાપમાં ભાવનગર મહાનગરપાલિકા શિક્ષણ સમિતિની શાળાઓના ૩૦૦થી વધુ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડૉ. નવનીતભાઈ રાઠોડ દ્વારા તમામ શિક્ષકોને 'ન્યુરોમાર્ગ' પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું. શિશુવિહાર પુસ્તકાલયના ઉપક્રમે 'વંદે માતરમ શતાબ્દી' વર્ષ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ ચિત્ર કેલેન્ડર 'શ્રમનું ગૌરવ' પણ શાળાઓને વિતરણ કરાયું હતું. કાર્યક્રમનું સંકલન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક સાગરભાઈ દવેએ કર્યું હતું. સમાપન માર્ગદર્શન ડૉ. નલિનભાઈ પંડિતે આપ્યું અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. શિશુવિહાર સંસ્થાના સંપર્ક વિભાગના મેનેજર અનિલભાઈ બોરીચા અને તેમની ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
હિંમતનગરના વાટડા ડુંગર પર દીપડો દેખાયો:વીડિયો વાયરલ થતા વન વિભાગ પાંજરું મુકશે
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વાટડા ગામ નજીકના ડુંગર પર દીપડો જોવા મળ્યો છે. આ દીપડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના પગલે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવશે. વાયરલ થયેલા વીડિયોમાં ડુંગરની ટોચ પર જંગલી પ્રાણી દેખાયું હતું. શરૂઆતમાં સ્થાનિકો તેને વાઘ માની રહ્યા હતા. આ અંગે ગામલોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા, વન વિભાગે તપાસ શરૂ કરી હતી. રાયગઢ વન વિભાગના RFO અનિરુદ્ધસિંહ સિસોદિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, વીડિયોમાં દેખાતું જંગલી પ્રાણી દીપડો જ છે. સ્થળ તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને દીપડાને પકડવા માટે ચોક્કસ જગ્યાએ પાંજરું મૂકવામાં આવશે. આ વીડિયો એક સ્થાનિક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. વન વિભાગે સુરક્ષાના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરી છે.
ગીર સોમનાથ જિલ્લામાં સોશ્યલ મીડિયા પર બાહુબલી તલવાર સાથે ફોટો મૂકી વાયરલ કરનાર એક યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. આ યુવકે હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી પ્રભાસ પાટણ પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુસર, સોશ્યલ મીડિયામાં હથિયાર સાથેના ફોટા કે વીડિયો મૂકી ખોટી દહેશત ફેલાવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાએ સ્પષ્ટ આદેશ આપ્યા છે. આ આદેશ મુજબ સોશ્યલ મીડિયા પર સતત વોચ રાખવામાં આવી રહી છે. આ સૂચનાઓના અનુસંધાને, S.O.G. ગીર સોમનાથની ટીમ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને માહિતી મળી હતી કે એક યુવકે બાહુબલી તલવાર સાથેનો ફોટો સોશ્યલ મીડિયામાં અપલોડ કરીને વાયરલ કર્યો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આફતાબ અલ્તાફભાઇ ચૌહાણ (ઉ.વ. 21, રહે. યોગાન ચોક, પ્રભાસ પાટણ, તા. વેરાવળ)ને બાહુબલી તલવાર સાથે ઝડપી લીધો હતો. આરોપી પાસેથી બે ફૂટ સાત ઇંચ લંબાઈની બંને બાજુ ધારવાળી ધાતુની બાહુબલી તલવાર કબ્જે કરવામાં આવી છે. આરોપી દ્વારા ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આથી, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં G.P. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી S.O.G. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. કાગડાના માર્ગદર્શન હેઠળ ASI દેવદાનભાઇ માણંદભાઇ અને S.O.G. સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. ગીર સોમનાથ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, સોશ્યલ મીડિયામાં હથિયાર સાથે ફોટા કે વીડિયો મૂકીને દહેશત ફેલાવનારા સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
ભાવનગર શહેરમાં ફાઇન્સ કંપનીના ડિવિઝનલ મેનેજર પર પૂર્વ કર્મચારી સહિત ચાર શખ્સોએ હુમલો કર્યાની ગંભીર ઘટના સામે આવી છે. જૂના વહેમ અને રંજિશના કારણે લોખંડના સળિયા, લાકડાના ધોકા અને ઢીકા-પાટુથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે ફરિયાદ થતા, પોલીસે આ બનાવમાં 4 શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કંપનીમાં અગાઉ સાથે કામ કરતા શખ્સે જ જીવલેણ હુમલો કર્યોઆ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, ગ્રામીણ લિમિટેડ માઈક્રો ફાઇન્સ કંપનીમાં ડિવિઝનલ મેનેજર તરીકે ફરજ બજાવતા નરેશ ભરતસિંહ પરમારએ કંપનીના પૂર્વ કર્મચારી ભાવનગરના રહેવાસી રામદેવસિંહ જયવંતસિંહ સરવૈયા અને અન્ય 3 અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, નરેશ ભરતસિંહ પરમાર અને રામદેવસિંહ જયવંતસિંહ સરવૈયા કંપનીમાં સાથે કામ કરતા હતાં. જેમાં રામદેવસિંહ જયવંતસિંહ સરવૈયાએ બે મહિના પહેલા કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું. લોખંડના સળિયા અને ધોકાથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપીપરંતુ આ રાજીનામુ આપવામાં ડિવિઝનલ મેનેજર નરેશ પરમારે કંપનીમાં ખોટી રજુઆત કરી હોવાનો રામદેવસિંહ સરવૈયાને મનમાં વહેમ હતો. જે વહેમની દાઝ રાખીને રામદેવસિંહ સરવૈયાએ અજાણ્યા શખ્સોને સાથે રાખી નરેશ પરમારને લોખંડના સળિયા, લાકડાના ધોકા અને ઢીકા પાટુનો માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈજે બનાવના પગલે ડિવિઝનલ મેનેજર નરેશ પરમારે રામદેવસિંહ જયવંતસિંહ સરવૈયા તેમજ અન્ય અજાણ્યા ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે BNS 115(2), 352, 351(3), 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રીય બજેટ 2026-27 અંગે પ્રતિક્રિયા આપતા તેને ઐતિહાસિક ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રજૂ થયેલું રૂ.53.5 લાખ કરોડનું આ બજેટ 'વિકસિત ભારત 2047'ની દિશા નિર્ધારિત કરશે અને દેશના સર્વાંગી વિકાસને વેગ આપશે. પોરબંદરના અટલ ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે બજેટના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. બજેટમાં મુખ્યત્વે પાંચ સ્તંભો - યુવા શક્તિ, નારી શક્તિ, કિસાન શક્તિ, શ્રમિક શક્તિ અને ઉદ્યમી શક્તિને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મંત્રીએ ઉમેર્યું કે મહિલા સશક્તિકરણ, મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટી જેવા ક્ષેત્રોમાં કરાયેલી જોગવાઈઓ ભારતને વિશ્વનું અગ્રિમ અર્થતંત્ર બનાવવામાં મદદ કરશે. કૃષિ, પશુપાલન અને મત્સ્યોદ્યોગ માટેની નવી યોજનાઓ ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી આપશે. ગુજરાત માટે બજેટની મહત્વની જાહેરાતો અંગે વાત કરતા અર્જુન મોઢવાડિયાએ કેટલાક મુખ્ય મુદ્દાઓ ટાંક્યા હતા. પ્રવાસન ક્ષેત્રે, લોથલ અને ધોળાવીરા સહિત દેશના ૧૫ પુરાતત્વ સ્થળોને વૈશ્વિક પર્યટન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે. ઉદ્યોગ અને વેપાર માટે, ગુજરાતના 7 લાખ જેટલા મેન્યુફેક્ચરિંગ એકમોને આ બજેટથી સીધો ફાયદો થશે. પશ્ચિમ બંગાળના દાનકુનીથી સુરત સુધીના નવા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરથી રાજ્યના વેપારને નવી ગતિ મળશે. ગિફ્ટ સિટીમાં આવતા નવા યુનિટોને 20 વર્ષ સુધી ટેક્સ ફ્રી રેઝીમનો લાભ મળશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે, જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીને ગ્લોબલ મેડિકલ સેન્ટર તરીકે પ્રમોટ કરવામાં આવશે. શહેરી વિકાસ માટે, મ્યુનિસિપાલિટીઝને સક્ષમ બનાવવા મ્યુનિસિપલ બોન્ડ દ્વારા નાણાં એકત્ર કરવાની જોગવાઈ કરાઈ છે. ઔદ્યોગિક અને આર્થિક વિકાસના સંદર્ભમાં, મેક ઇન ઇન્ડિયા અને સેમીકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે. સેમીકન્ડક્ટર 2.0 પોલિસી અને પાંચ નવા ટેક્સટાઈલ પાર્કની સ્થાપનાથી રાજ્યમાં રોજગારીની નવી તકો ઊભી થશે. આ ઉપરાંત, ત્રણ કેમિકલ પાર્ક અને MSME સેક્ટર માટેની યોજનાઓથી ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, સંરક્ષણ બજેટમાં 15%નો વધારો અને ફિસ્કલ ડેફિસિટ ઘટાડવાનો લક્ષ્યાંક દેશની આર્થિક મજબૂતી દર્શાવે છે. નવા ઇન્કમ ટેક્સ એક્ટથી મધ્યમ વર્ગ અને નાના વેપારીઓને મોટી રાહત મળશે.
પોરબંદરના ઐતિહાસિક શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) ખાતે ઝોન કક્ષાના 'એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ - 2025-26'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ઉપસ્થિત રહી શિક્ષણમાં ટેકનોલોજી અને નવા પ્રયોગોના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ઇનોવેશન એ મનુષ્યની પ્રકૃતિ છે, પરંતુ શિક્ષણ વ્યવસ્થામાં તેની લાંબા સમયથી ઉપેક્ષા થઈ છે. તેમણે આજના યુગમાં ટેકનોલોજીની ઝડપ સમજાવવા માટે OpenAI (ChatGPT)નું ઉદાહરણ આપ્યું. મંત્રીએ કહ્યું કે, માત્ર પાંચ વર્ષમાં આ સ્ટાર્ટઅપનું માર્કેટ કેપિટલાઇઝેશન ટાટા અને રિલાયન્સ જેવી મોટી કંપનીઓની હરોળમાં આવી ગયું છે. ભારત માટે આવી આધુનિક ગતિશીલતા સ્વીકારવી હવે અનિવાર્ય છે. મંત્રીએ શિક્ષણવિદોને માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતા મર્યાદિત ન રહેવા જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારીના પાંચ મુખ્ય ગુણો વિકસાવવા હાકલ કરી. આ ગુણોમાં પર્યાવરણ જાળવણી (વૃક્ષારોપણ દ્વારા ક્લાયમેટ ચેન્જનો સામનો), સ્વચ્છતા (ગંદકી દૂર કરી સ્વચ્છ ભારતનો સંકલ્પ), ટ્રાફિક સેન્સ (અકસ્માતો ઘટાડવા જાગૃતિ), વ્યસનમુક્તિ (યુવાધનને ગંભીર બીમારીઓથી બચાવવું) અને વારસાનું જતન (1903ની આર.જી.ટી. કોલેજની જૂની ઇમારતના રિસ્ટોરેશન કાર્યનો ઉલ્લેખ) નો સમાવેશ થાય છે. આ ફેસ્ટિવલમાં શિક્ષણ ક્ષેત્રે નવતર પ્રયોગો કરનાર શ્રેષ્ઠ શિક્ષકોને મંત્રીના હસ્તે પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી વી.કે. પરમાર, પ્રાચાર્ય ડૉ. અલ્તાફ રાઠોડ, અગ્રણી લાખણશી ગોરાણીયા, વિક્રમભાઈ સહિત શિક્ષણ જગતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીનો પ્રભાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને આદિવાસી હૃદયસમ્રાટ અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સતત એક બાદ એક પરિવર્તન જનસભા સંબોધી રહ્યા છે, જેના કારણે જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આજે ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે યોજાયેલી જનસભામાં હજારોની સંખ્યામાં જનસેલાબ ઉમટી પડતા વિરોધી છાવણીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ સભામાં ચૈતર વસાવાએ ભાજપ સરકારની નીતિઓ અને ભ્રષ્ટાચાર પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ સહિતના આગેવાનોનો પાર્ટી છોડી ‘ઝાડુ’નો ખેસ ધારણ કર્યોનઢેલાવની આ પરિવર્તન સભામાં રાજકીય સમીકરણો બદલાતા જોવા મળ્યા હતા. ચૈતર વસાવાએ ગર્વભેર જણાવ્યું હતું કે, આજની સભામાં ભાજપ, કોંગ્રેસ, ભારતીય આદિવાસી પાર્ટી (BAP) અને અન્ય સંગઠનોમાંથી મોટી સંખ્યામાં સક્રિય આગેવાનો અને કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. વસાવાએ તમામનું સહર્ષ સ્વાગત કરતા કહ્યું હતું કે, જે રીતે જનમેદની ઉમટી છે તે સાબિત કરે છે કે લોકો હવે પરિવર્તન ઈચ્છે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘આપ’ સ્વતંત્ર લડશે અને જીતશેઆગામી ચૂંટણીઓ અંગે રણશિંગુ ફૂંકતા ચૈતર વસાવાએ મક્કમતાથી જાહેરાત કરી હતી કે, આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન કર્યા વગર સ્વતંત્ર રીતે લડશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દાહોદ જિલ્લા પંચાયત હોય કે તમામ તાલુકા પંચાયતો, જનતાના સમર્થનથી ‘આપ’ ભવ્ય વિજય મેળવશે અને આ વિસ્તારમાંથી ધારાસભ્યો પણ ચૂંટાઈને વિધાનસભામાં જશે. સભા અટકાવવાના પ્રયાસો અને ભાજપની ‘તાનાશાહી’ પર પ્રહારચૈતર વસાવાએ વહીવટી તંત્ર અને ભાજપના નેતાઓ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, અમારી અગાઉની સભા અભલોડ ગામના સરવાઈ ગ્રાઉન્ડ ખાતે નક્કી હતી. પરંતુ ત્યાંના સરપંચને ભાજપના ધારાસભ્ય અને સાંસદ દ્વારા ડરાવવામાં આવ્યા હતા. સરપંચ પર દબાણ લાવવામાં આવ્યું કે જો સભા થશે તો તમારી ગ્રાન્ટ બંધ થઈ જશે અને ઈન્કવાયરી આવશે. અંતે મૌખિક સંમતિ આપ્યા બાદ સરપંચે પીછેહઠ કરી અને પ્રાંત અધિકારીએ માત્ર 18 કલાક બાકી હતા ત્યારે મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો. આ ભાજપની વધતી જતી બીક અને તાનાશાહીનું ઉત્તમ ઉદાહરણ છે. 18 કલાકમાં મેદાન તૈયાર કરી શક્તિપ્રદર્શન કર્યુંભાજપના અવરોધો છતાં સભા સફળ રહી તે અંગે તેમણે ગરબાડાની ટીમને અભિનંદન આપતા કહ્યું કે, જ્યારે અભલોડમાં મંજૂરી ન મળી ત્યારે નઢેલાવના એક ઉદાર જમીન માલિકે પોતાની જમીન આપી. કાર્યકરોએ માત્ર 18 કલાકમાં ખેતર સાફ કરી, મંડપ ખસેડીને ભવ્ય આયોજન કર્યું. તેમણે છેલ્લી ઘડીએ મંજૂરી આપવા બદલ વહીવટી તંત્રનો પણ આભાર માન્યો હતો અને ઉમેર્યું હતું કે આ તાનાશાહીનો જવાબ જનતા લોકશાહી ઢબે ચૂંટણીમાં આપશે. દાહોદ જિલ્લો ભ્રષ્ટાચારનું એપી સેન્ટર હોવાનો ચૈતર વસાવાનો દાવોભ્રષ્ટાચાર મુદ્દે સરકારને ઘેરતા વસાવાએ આક્ષેપ કર્યો કે દાહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયો છે. મનરેગા યોજનામાં બચુભાઈ ખાબડના દીકરાઓએ મોટું કૌભાંડ કર્યું હોવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે ગુજરાત પેટર્ન યોજના, આદિ આદર્શ યોજના અને નલ સે જલ યોજનામાં પણ કરોડોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આદિવાસીઓની 73AA ની જમીનો પણ અધિકારીઓએ નેતાઓના ઈશારે બારોબાર વેચી દીધી છે, જેની તપાસ ભાજપના નેતાઓના નામ આવતા જ બંધ કરી દેવાઈ છે. આદિવાસી સમાજને ડરાવવાની રાજનીતિ સામે જંગચૈતર વસાવાએ સ્પષ્ટ કર્યું કે ભાજપના નેતાઓ આદિવાસી, OBC, કોળી, દલિત અને વંચિત સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જ્યારે આ સમાજ SIR, UCC, UGC કે પોતાના બંધારણીય અને સામાજિક અધિકારોની વાત કરે છે, ત્યારે ભાજપના નેતાઓ તેમને દબાવવાનો પ્રયાસ કરે છે. લોકો જાગૃત ન થાય, શિક્ષણ કે રોજગારી ન માંગે અને ખેડૂતો સિંચાઈનું પાણી ન માંગે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેની સામે આમ આદમી પાર્ટી મક્કમતાથી લડવા કટિબદ્ધ છે. મોદી-શાહના ગઢમાં ‘આપ’ બીજા નંબરે: વસાવાગુજરાતના રાજકીય માહોલ પર ચર્ચા કરતા તેમણે કહ્યું કે, પહેલા લોકો કહેતા હતા કે ગુજરાત નરેન્દ્ર મોદી અને અમિત શાહનો ગઢ છે એટલે ત્રીજો મોરચો નહીં ચાલે. પરંતુ આજે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં દોડી રહી છે અને મજબૂત વિપક્ષ તરીકે ઉભરી છે. હાલના સર્વે મુજબ પણ ‘આપ’ બીજા ક્રમે છે. તેમણે આશા વ્યક્ત કરી કે દાહોદ, નર્મદા, વલસાડ, પંચમહાલ અને છોટાઉદેપુર જેવા જિલ્લાઓમાં ‘આપ’ બહુમતી મેળવશે. કુપોષણ અને પછાતપણા માટે બજેટનો દુરુપયોગ જવાબદારદાહોદ જિલ્લાના પછાતપણા અંગે વસાવાએ જણાવ્યું કે જિલ્લાના વિકાસ માટે આવતું બજેટ નેતાઓ અને અધિકારીઓના પેટમાં જાય છે. આદિવાસીઓના કલ્યાણના પૈસા મુખ્યમંત્રી અને વડાપ્રધાનના કાર્યક્રમો, વિકાસ યાત્રાઓ, અમૃત મહોત્સવ અને પ્રચાર-પ્રસારમાં વપરાય છે. કરોડો રૂપિયા જમણવાર અને નાસ્તામાં ઉડાવાય છે, જેના કારણે જિલ્લામાં કુપોષણ વધ્યું છે, શિક્ષકો અને શાળાના ઓરડાઓની ઘટ છે. જો ‘આપ’ સત્તામાં આવશે તો જ દાહોદનો સાચો વિકાસ થશે. નવું સ્લોગન: “ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું”અંતમાં વસાવાએ વંશવાદ પર પ્રહાર કરતા નવું સૂત્ર આપ્યું હતું - ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું. તેમણે કહ્યું કે ભાજપમાં નેતાનો દીકરો કે ભાઈ જ ચૂંટણી લડે છે, જેમ કે દાહોદના સાંસદનો ભાઈ જ ધારાસભ્ય બને. પણ આમ આદમી પાર્ટીમાં સામાન્ય માણસને મંચ મળે છે. ‘આપ’ એટલે આપણે બધા, અને હવે આ ગુજરાત આપણે બધાનું છે, કોઈ એક પરિવારનું નથી. આ જનસભામાં આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશ બારીયા અને પ્રદેશ સંગઠન મંત્રી નરેશ બારીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સભાને સફળ બનાવી હતી.
ભાવનગરમાં પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પેટ્રોલિંગ હતી તે દરમ્યાન કુંભારવાડા વિસ્તારમાં રેડ કરતા સ્થળ પરથી એક શખ્સને ઝડપી લઇ રૂ.63,120 કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ કેસમાં સંડોવાયેલ અન્ય એક આરોપી હાલ ફરાર છે. જેને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે, આ મામલે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન હેઠળ ગુન્હો નોંધાતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુંભારવાડાનો રહેવાસી દારૂની 72 બોટલ સાથે એક શખ્સ ઝડપાયોભાવનગર પેરોલ ફર્લો સ્કવોડનો પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન મળેલી બાતમીના આધારે શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી અબ્દુલ કલામ નીશાળવાળા ચોકની પાસે આવેલ ચોથીબેન છાશવાળાના ખાંચામાં બાતમીવાળી જગ્યાએ રેડ કરતા મૂળ કુંભારવાડાનો રહેવાસી મુસ્તુફા ઉર્ફે ભાણો સલીમભાઇ આરબ ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો મળી આવ્યો હતો. એક શખ્સ ફરારપોલીસે રેઇડ કરતા મુસ્તુફા ઉર્ફે ભાણો સલીમભાઇ આરબ મળી આવતા તપાસ દરમ્યાન ઇગ્લીંશ દારૂની નાની-મોટી 72 નંગ બોટલો સહીત કુલ.રૂ.63,120ના મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે આ બનાવમાં અન્ય એક શખ્સ હારૂન અવેશભાઇ કટીયા જે પકડવાનો બાકી છે. પોલીસે આ બનાવના બન્ને શખ્સો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ગુન્હો દાખલ કરાવતા બોરતળાવ પોલીસે પ્રોહીબિશનની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભારતના ચૂંટણી પંચે ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા ખાસ સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માટે ઐશ્વર્યા સિંઘ (IAS), સંયુક્ત સચિવ અને એમ.ડી. (SBM-G), પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ, જલ શક્તિ મંત્રાલયની ખાસ યાદી નિરીક્ષક (SRO) તરીકે નિમણૂક કરી છે. આ સંદર્ભે, તેમણે પાટણ કલેકટર કચેરી ખાતેથી એક મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ બેઠકમાં ઐશ્વર્યા સિંઘે પાંચ જિલ્લાના ચૂંટણી અધિકારીઓ સાથે જોડાઈને ચાલી રહેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. ભરૂચ, નર્મદા, દાહોદ અને વલસાડ જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારીઓ ઓનલાઇન જોડાયા હતા, જ્યારે પાટણના જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર ભટ્ટ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને તમામ પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન, ડ્રાફ્ટ મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ મળેલા દાવાઓ અને વાંધાઓના નિકાલની પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી હતી. નોટિસ તબક્કો, સુનાવણી અને ફોર્મ પર લેવાના થતા નિર્ણયો અંગે જરૂરી માર્ગદર્શન અપાયું હતું. મતદાર નોંધણી અધિકારીઓ (EROs) દ્વારા દાવા-વાંધાના નિકાલની ઝડપ અને ચોકસાઈ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. યાદીની ગુણવત્તા, જેમાં મતદાર યાદીના 'હેલ્થ પેરામીટર્સ' તપાસવા અને અંતિમ પ્રકાશન માટે કમિશનની પરવાનગી મેળવવા સહિતની ટેકનિકલ બાબતો અંગે પણ સમીક્ષા કરાઈ હતી. ઐશ્વર્યા સિંઘે પારદર્શક અને ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર થાય તે હેતુથી તમામ અધિકારીઓને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી.
સંગઠનની રચના બાદ જુનાગઢ શહેર ભાજપના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. જુનાગઢ શહેર ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ તેજસ પરેશભાઈ જોષી ઉર્ફે પપ્પુ જોષીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ કરીને સ્થાનિક નેતૃત્વ સામે સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, RTI કરનારાઓને હોદો આપી ચૂપ કરાય છે. તો આ સમગ્ર મામલે ભાસ્કરે જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, મને આ મામલે કોઈ ખ્યાલ નથી. હાલના જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયાને ભાસ્કરે કોલ કર્યો તો તેને કહ્યું, હું શિવરાત્રીની મિટિંગમાં છું અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ ફોન ઉઠાવી કહ્યું, હું મિટિંગમાં છું, ફ્રી થઈને કોલ કરીશ. 'જુનાગઢને JCB એ નહીં, પુનીત શર્માએ ખોદી નાખ્યું'પૂર્વ પ્રમુખે પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ પુનીત શર્મા પર સીધો પ્રહાર કરતા કહ્યું કે, જુનાગઢની હાલત આજે અત્યંત દયનીય છે. લોકો કહે છે કે JCB એ રસ્તા ખોદ્યા છે, પણ વાસ્તવમાં જુનાગઢને પુનીત શર્માએ ખોદી નાખ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે 2021માં પ્રમુખ બન્યા ત્યારથી જુનાગઢમાં હદબારનો ભ્રષ્ટાચાર થયો છે. કરોડો-અબજો રૂપિયાની ગ્રાન્ટ આવવા છતાં શહેર ખાડામાં જ છે. રસ્તાના ખાડાને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. 'પક્ષમાં નિષ્ઠાવાન કાર્યકરોનું શોષણ થાય છે'જોષીએ વ્યથા ઠાલવતા કહ્યું કે, જે કાર્યકરો 18-18 વર્ષથી લોહી રેડીને પક્ષ માટે કામ કરે છે, તેમને સાઈડલાઈન કરવામાં આવે છે. પક્ષમાં હવે એવા લોકોને હોદ્દા મળે છે જે નેતાઓની જી-હજૂરી કરે છે અથવા તેમના અંગત કામો કરે છે. તેમણે કટાક્ષમાં કહ્યું કે, જો તમે નેતાઓના ઘરના કપડાં ઇસ્ત્રીમાં મૂકવા જાવ તો તમને હોદ્દો મળી જાય છે. પાયાના અને નિષ્ઠાવાન કાર્યકરો પાસે માત્ર ખુરશીઓ ઉપાડવાનું અને ભીડ ભેગી કરવાનું જ કામ કરાવવામાં આવે છે, જે હવે સહન નહીં થાય. 'સગા-વહાલા અને મળતિયાઓને ફિટ કરી દેવામાં આવ્યા'તેમણે વર્તમાન સંગઠન પર પણ સવાલો ઉઠાવતા કહ્યું કે, મેયર હોય કે ડેપ્યુટી મેયર, દરેક જગ્યાએ પોતાના સગા-વહાલા અને મળતિયાઓને ફિટ કરી દેવામાં આવ્યા છે. નવી ટીમમાં પણ માત્ર સેટિંગ કરનારાઓને જ સ્થાન મળ્યું છે. આનાથી ભાજપના સાચા કાર્યકરો તૂટ્યા છે અને પક્ષને મોટું નુકસાન થઈ રહ્યું છે. તેમણે વર્તમાન અધ્યક્ષ ગૌરવ રૂપારેલીયાને પણ ચેતવ્યા છે કે તેઓ આવા 'સેટિંગિયા' તત્વોની જાળમાં ન ફસાય. 'કાર્યકરો ખોટા કેસ થવાના ડરથી બોલી શકતા નથી'પપ્પુ જોષીએ સ્પષ્ટતા કરી હતી કે તેમનો પરિવાર છેલ્લા 35 વર્ષથી ભાજપની વિચારધારા સાથે જોડાયેલો છે અને તેઓ નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કામ કરવા માટે હંમેશા તૈયાર છે. પક્ષ પદ આપે કે ન આપે, તેઓ ભાજપમાં જ રહેશે, પરંતુ સ્થાનિક સ્તરે જે અન્યાય થઈ રહ્યો છે તેની સામે હવે અવાજ ઉઠાવવો અનિવાર્ય બન્યો છે. કાર્યકરો ખોટા કેસ થવાના ડરથી બોલી શકતા નથી, પરંતુ સત્ય બહાર લાવવા તેઓ જેલમાં જવા પણ તૈયાર છે.આ નિવેદન બાદ જુનાગઢ ભાજપના આંતરિક રાજકારણમાં મોટો ભૂકંપ આવે તેવી શક્યતા જણાઈ રહી છે. જૂનાગઢ શહેર ભાજપ સંગઠનનું માળખું જૂનાગઢ શહેર ભાજપ સંગઠનના 3 મહામંત્રી, 8 ઉપપ્રમુખ, અને 8 મંત્રી સહિત વિવિધ મોર્ચાઓના પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. જેઓના નામની યાદી નીચે મુજબ છે.

30 C